આણંદ-ખેડા જિલ્લા ક્ષત્રિય સમાજ સુધારક સંઘની આણંદ ખાતે કારોબારી મિટિંગ યોજાઇ હતી. ત્યારે મિટિંગમાં સમાજની જાગૃતિ લાવવી, શિક્ષણ સુધારણા, વ્યસન મુક્તિ સહિત કુરિવાજો બંધ કરી દેવા સહિત જરૂરી નિર્ણયો લેવામાં આવ્યાં હતાં. પ્રાપ્ત વિગત મુજબ આણંદ-ખેડા જિલ્લા ક્ષત્રિય સુધારક સંઘના પ્રમુખ પુરષોત્તમ દાસ, અમૂલના પૂર્વ વાઇસ ચેરમેન કાંન્તિભાઇ શોઢા પરમાર સહિતના અગ્રીણયો અને મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતાં. કારોબારીમાં મિટિંગમાં સમાજલક્ષી ઠરાવો કરી અમલીકરણ કરવા નક્કી કરવામાં આવ્યું હતું. જો કે સમાજના અગ્રણીયોએ આર્થિક રીતે સાથ સહકાર આપવા અંગે અનુરોધ કર્યો હતો.જો કે આગામી દિવસોમાં આણંદ-ખેડા જિલ્લામાં ક્ષત્રિય સુધારક સંઘનું અદ્યતન કાર્યાલય પોતાના મકાનમાં શરૂ કરવામાં આવશે.
ગોઝારો અકસ્માત સર્જાયો:વાસદ તારાપુર હાઇવે પર બોદાલના ગેટ સામે કારની ટકકરે યુવકનું મોત
બોરસદ તાલુકાના દાવોલ-બોદાલ ગામ નજીકથી પસાર થતા વાસદ તારાપુર સીક્સલેન હાઇવે ઉપર શુક્રવારે સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં રોડ ક્રોસ કરી રહેલા દાવોલ-બોદાલ ગામના યુવકને બોદાલ ગામના ગેટ સામે રોડ ઉપર પુરઝડપે આવી ચઢેલી કારના ચાલકે ટક્કર મારતા યુવકનું મોત નિપજ્યાની ફરિયાદ બોરસદ શહેર પોલીસ મથકમાં નોંધાઈ છે. બોરસદ તાલુકાના દાવોલ ગામે રહેતા મહેન્દ્રભાઈ છગનભાઈ ભીમાભાઇ ચાવડા શુક્રવારે બપોરના અઢી વાગ્યાના અરસામાં ભત્રીજા દીપકભાઈ સાથે બોદાલ ગામે ખેતમજૂરી કામ માટે ગયા હતા અને સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ઘરની સામે બોદાલ ગામના ગેટ બાજુ વાસદ તારાપુર સીક્સલેન હાઇવે રોડ ઉપર તેઓનો ભત્રીજો દીપકભાઈ રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પુરઝડપે આવી ચઢેલી એક કારના ચાલકે દીપકભાઈ ચાવડાને ટક્કર મારતા ગંભીર ઇજા થવાથી મોત થયુ હતું.
આણંદ અમૂલ ડેરી રોડ પર આવેલા શાકમાર્કેટમાં કેટલાંક વેપારીઓ દ્વારા ગેરકાયદે ઓટલા કારણેને 40 ફૂટના બંને બાજુના માર્ગ 15 ફૂટ બની ગયો હતો. જેથી ગ્રાહકો અને શાકભાજી લઇને આવતાં ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વખત આવતો હતો. જેને લઇને મનપાએ સૂચના પગલે ઓટલા દૂર કરીને બને બાજુના માર્ગ ખુલ્લા કરી દેવામાં આવ્યાં છે. હવે અવરજવર માટે એક બાજુથી પ્રવેશવાનો માર્ગઅને બીજી બાજુથી બહાર નીકળવાનો માટે રસ્તો ખુલ્લો કર્યો છે.તેમજ એક બાજુનો શેડ જર્જરીત હાલતમાં ફેરવાઇ ગયો હોવાથી રૂ 10 લાખના ખર્ચે નવો શેડ બનાવવામાં આવશે. તેમ એપીએમસીના સૂત્રોએ જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ મોટી શાકમાર્કેટમાં ભીડને માહોલ સર્જાતા રાહદારીઓ હાલાકીઓનો ભોગ બની રહ્યા હતા.ત્યારે એપીએમસીએ ફરીયાદોને પગલે નોટીસ ફટકારીને ગેરકાયદેસ દબાણોનો સફાયો બોલાવી દેવાયો છે.આણંદ મનપા મંજુરી મળવાથી એક તરફનો જર્જરીત થઇ ગયેલ શેડ તોડી નાંખવામાં આવશે.જેના પગલે શેડ નીચે બેસતા કુલ 21થી વધુ વેપારીઓને અન્ય જગ્યા ફાળવણી કરવામાં આવશે. જો કે રૂ.10 લાખ ઉપરાંત રકમના ખર્ચે શેડ તૈયાર કરવામાં આવનાર હોવાથી રાહદારીઓ ચોમાસામાં વરસાદ પડતા હાલાકીઓનો ભોગ બનવુ નહીં પડે.હાલમાં સામરખા ચોકડી શાકમાર્કેટ અને મોટી શાકમાર્કેટ દબાણો દુર કર્યા બાદ વેપારીઓને ઓટલા બહાર શાકભાજીનું વેચાણ નહીં કરવા માટે સુચનાઓ આપી દેવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યુ હતું.
પીજીવીસીએલ પાલિલીતાણા ડિવિઝન નીચે આવતા પાલિતાણા, ગારિયાધાર, તળાજાના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ છે આ સ્માર્ટ મીટર લગાવવા લોકો રાજી નથી. પીજીવીસીએલ પાલિતાણા ડિવિઝન નીચે આવતા 9 સબ ડિવિઝનનો પાલિતાણા ટાઉન, પાલિતાણા રૂરલ, ઘોડીઢાળ, ગારીયાધાર-1, ગારિરીયાધાર-2, તળાજા-1, તળાજા-2, ત્રાપજ, પીથલપુરમાં હાલ ફેસ એક નીચે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ છે. પીજીવીસીએલમાંથી જાણવા મળેલ માહિતી મુજબ વીજળીના સ્માર્ટ મીટરને લઈને ગ્રાહકોમાં અંદરખાને ગણગણાટ ચાલી રહ્યો છે છતાં પીજીવીસીએલ પોતાના ગ્રાહકોને ત્યાં નવા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ધીમે પગલે શરૂ છે. પાલીતાણા ડિવિઝન અંતર્ગત ફેઝ-1 ની કામગીરી અંતર્ગત દુકાનો, કારખાના, સરકારી કચેરી સહિતના કોમર્શિયલ વિભાગમાં સ્માર્ટ મીટર ફીટીંગ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 9,500 મીટર લાગ્યા છે. સીધી વાત પ્રશ્ન : સ્માર્ટ મીટર લાગતા જુના મીટર હટી જશે કે કેમ? જવાબ : જૂનું મીટર હશે તે હટાવીને સ્માર્ટ મીટર લગાડવામાં આવશે. પરંતુ મીટરની પેટી યથાવત રહેશે. જે મીટર પેટી તૂટી ગઈ કે બદલવાની જરૂર પડશે તેને જ હટાવીને નવી નખાશે. પ્રશ્ન : સ્માર્ટ મીટરમાં રિચાર્જ કરવો પડશે કે બિલ આવશે? જવાબ : જે જૂના મીટરમાં બિલ આવતું અને લોકોને બિલ ભરપાઈ કરવા માટેનો ચોક્કસ સમયગાળો મળતો એ જ રીતે સ્માર્ટ મીટરનું પણ બિલ આવશે અને રકમ ભરવાનો સમય મળશે. પ્રશ્ન : સ્માર્ટ મીટર આવવાથી લોકોને શું ફાયદો થશે? જવાબ : સ્માર્ટ મીટર લાગવાથી મોબાઇલમાં એક એપ્લિકેશન આવશે. જેમાં લોકો રોજ કેટલાય યુનિટનો વપરાશ કરી રહ્યા છે. તેનો આખો ડેટા લોકો ઘર બેઠા નિહાળી શકશે. પ્રશ્ન : એપ્લિકેશનમાં ડેટા ઉપરાંત કોઈ બીજી નવીનતા ખરી? જવાબ : લોકો માત્ર ડેટા જ નહીં જોઈ શકે પરંતુ ઘરમાં કોઈપણ ઈલેક્ટ્રિક લાઈનમાં વીજ કરંટ હોય કે જે તે ઉપકરણમાં સરખો વીજ પ્રવાહ પહોંચતો ન હોય તો તેની માહિતી મેસેજ મારફત એપ્લિકેશનમાં આવશે. પ્રશ્ન : જે લોકોને સ્માર્ટ મીટર લગાવવો ન હોય તો શું થશે? જવાબ : સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે. પણ જો કોઈ લોકો ના પાડશે તો અમારા ઇજનેર સહિતના સ્ટાફ દ્વારા સ્માર્ટ મીટરની પૂરી માહિતી આપી સમજાવવામાં પણ આવશે. જે.સી. ગૌસ્વામી, કા.પા.ઈ. PGVCL, પાલિતાણા ડિવિઝન
વિતરણ કેમ્પ યોજાયો:નિદાન-સારવાર અને ચશ્મા વિતરણના કેમ્પ યોજાઇ ગયા
ભાવનગરના નગરશ્રેષ્ઠી અને મહાજન ગણાતા પ્રતાપભાઈ શાહ ની 102 મી જન્મ જ્યંતી નિમિતે પ્રતાપભાઈ તારાચંદ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ તથા દિવ્ય ભાસ્કર ગ્રુપ ના સૌરાષ્ટ્ર સમાચાર અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ભાવનગર દ્વારા મેડિકલ નિદાન અને સારવાર કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું જેનો બહોળી સંખ્યા માં દર્દીઓ એ લાભ લીધો હતો. રેડક્રોસ ના પૂર્વ પ્રમુખ અને અનેક સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા સ્વ.પ્રતાપભાઈ શાહની 102મી જન્મ તિથિ નિમિતે પ્રતાપભાઈ તારાચંદ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગ થી ચાલતા રેડક્રોસ સાર્વજનિક દવાખાના,પ્લોટ ન.45, કે.પી.ઈ. એસ કોલેજ રોડ, ભગવતી સર્કલ પાસે, ચિન્મયાનંદ આશ્રમ ની બાજુમાં, કાળિયાબીડ, ભાવનગર ખાતે વિનામૂલ્યે સારવાર અને નિદાન કેમ્પ મેગા મેડિકલ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ માં આંખો ના નંબર તપાસી ને 3 નંબર સુધી ના અને બેતાળા ચશ્મા વિતરણ,જનરલ હેલ્થ ચેક-અપ કેમ્પ, બી.પી તેમજ ડાયાબિટીસ તપાસ, હિમોગ્લોબીન તપાસ, હાડકા ની ધનતા માપવા માટે BMD ટેસ્ટ, તથા દર્દીઓ ને જરૂરી દવાઓ વિનામૂલ્યે આપવા માં આવી હતી. આ સાથે આસપાસ ની શાળાઓના વિધાર્થીઓ ભાઈઓ બહેનો ની હિમોગ્લોબીન ની તપાસ કરવા માં આવી હતી અને દરેક ને નાસ્તો આપવા માં આવ્યો હતો. રેડક્રોસના કાળિયાબીડ, ચાવડીગેટ, દીવાનપરા, ખારગેટ, ક.પરા અને વૃદ્ધાશ્રમ ખાતે ચાલતી ઓપીડી સેવાઓ અને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી, આ ઉપરાંત લાઠીદડ ગામ ખાતે થેલેસિમિયા પરીક્ષણ, નાની માજીરાજ શાળા ખાતે હિમોગ્લોબીન તપાસ કેમ્પ કરેલ. કેમ્પનુ દીપ પ્રાગટય મહેમાનો જીતુભાઇ ઉપાધ્યાય, તારકભાઈ શાહ, ગીરીશભાઈ શાહ, ડો.એમ.જી. દેસાઈ, કુલદીપસિંહ, ભરતભાઈ શાહ, મિતુલભાઈ શાહ, ધીરુભાઈ કરમટીયા, ડો.મિલનભાઈ, સુમિત ઠક્કર, વર્ષાબેન લાલાણી, રોહિતભાઈ ભંડેરી, પરેશભાઈ ભટ્ટી, ડો પ્રકાશભાઈ ભટ્ટ, બકુલભાઈ ચાતુર્વેદીની ઉપસ્થિતિમાં યોજાયો
શાકંભરી નવરાત્રિ:પોષ સુદ આઠમ એટલે દુર્ગાષ્ટમી સાથે શાકંભરી નવરાત્રીનો આજથી પ્રારંભ થશે
શાકંભરી નવરાત્રી 28 ડિસેમ્બર 2025 રવિવારથી શરૂ થશે અને શનિવાર 03 જાન્યુઆરી 2026એ સમાપ્ત થશે. આ નવરાત્રી શુક્લ અષ્ટમીથી પોષ મહિનાની પૂર્ણિમા સુધી ઉજવવામાં આવે છે, જેમાં દેવી શાકંભરીની પૂજા કરવામાં આવે છે. દેવી શાકંભરી એ મા આદિશક્તિ જગદંબાના સૌમ્ય અવતાર છે. તેને શાકંભરી નામ મળ્યું કારણ કે તેણે શાકભાજી આપીને દુકાળ અને ભૂખમરાથી વિશ્વને મુક્ત કર્યું. માતા શાકંભરીની ઉપાસનાથી જીવનમાં સમૃદ્ધિ, આરોગ્ય અને ઐશ્વર્ય આવે છે. શાકંભરી નવરાત્રી દરમિયાન, ભક્તો ખાસ કરીને દેવીને તાજા ફળો, શાકભાજી અને જડીબુટ્ટીઓ અર્પણ કરે છે, જે તેમના આશીર્વાદ મેળવવાનું એક માધ્યમ માનવામાં આવે છે. તેમ શ્રીધર પંચાગવાળા કિશનભાઇ જોશીએ જણાવ્યુ હતુ. આખા વર્ષમાં ચાર નવરાત્રી ગણવામાં આવે છે, અશ્વિન મહિનાના શુક્લ પક્ષમાં શારદીય નવરાત્રિ, ચૈત્ર શુક્લ પક્ષમાં આવતી ચૈત્ર નવરાત્રિ, ત્રીજી અને ચોથી નવરાત્રી માઘ અને અષાઢ મહિનામાં ઉજવવામાં આવે છે. પરંતુ તેની સિદ્ધિ માટે તંત્ર-મંત્રના સાધકો માટે વિશેષ ગણાતી શાકંભરી નવરાત્રી પોષ માસના શુક્લ પક્ષની અષ્ટમીથી શરૂ થાય છે, જેનું સમાપન પોષ પૂર્ણિમાએ થાય છે. સમાપન દિવસે માતા શાકંભરી જયંતિ પણ ઉજવવામાં આવશે. શાકંભરી દેવીની પૂજા પોષ સુદ અષ્ટમીથી પોષી પૂર્ણિમા સુધી, દેવી ઉપાસના માટેનો શ્રેષ્ઠ સમય. માતાજીને શાકભાજીનો શણગાર કરાશે નેત્રોમાંથી અશ્રુ વરસાવી શાકંભરી દેવીએ શાકભાજી ઉત્પન્ન કરી વિશ્વનું પોષણ કર્યું હતું પોષ સુદ આઠમ એટલે દુર્ગાષ્ટમી સાથે શાકંભરી નવરાત્રીનો આજથી પ્રારંભ થશે. શાકંભરી નવરાત્રી દેવી ઉપાસના માટે ઉત્તમ અને શ્રેષ્ઠ ગણાય છે. જ્યારે શાકંભરી નવરાત્રી નિમિત્તે માતાજીને વિવિધ શાકભાજીનો શણગાર પણ કરવામાં આવશે. વર્ષ દરમિયાન આવતી ચાર નવરાત્રીમાં શાકંભરી નવરાત્રી પણ ખુબ મહત્વ ધરાવે છે. આ ગુપ્ત નવરાત્રી અત્યંત લાભકારક માનવામાં આવે છે. જ્યારે ધરતી ઉપર દુકાળ પડ્યો, વરસાદ ન પડ્યો ત્યારે રૂષીમુનીઓએ માતાજીને પ્રાર્થના કરી ત્યારે સ્વયં શક્તિ સ્વરૂપા માતાજીએ શતાક્ષી રૂપ પ્રગટ કર્યું હતું. શરીર પરના 100 નેત્રોમાંથી આંસુ વરસાવીને શાકંભરી માતાજીએ સૃષ્ટિને પાણી આપ્યું અને પછી શાકંભરી દેવીએ શાકભાજી ઉત્પન્ન કરીને વિશ્વનું પોષણ કર્યું હતું. જેથી શાકંભરી નવરાત્રી માનવ જીવનના પોષણ માટે ખુબ મહત્વ ધરાવે છે. શાકંભરી દેવીની પુજા પોષ સુદ અષ્ટમી થી પોષી પુર્ણિમા સુધી રહેશે. શાકંભરી નવરાત્રી દરમિયાન બ્રાહ્મણ દ્વારા દુર્ગાસપ્તસદીનો પાઠ કરાવવો, શક્ય તેટલા નવાણમંત્રના જાપ કરવા જોઈએ, શક્રાદય સ્તૃતીનો પાઠ કરવો અને કુંવારીકાઓને ભોજન કરાવી શૃંગારની વસ્તુઓ દાન કરવી શુભ મનાય છે. આ સમય પર દેવીની આરાધના અને ઉપસના કરવા માટે ઉત્તમ સમય માનવામાં આવે છે. આ સમયે દેવીની ભકિત અને સેવા કરવાથી વિશેષ ફળ આ સમયે પ્રાપ્ત થાય છે.
નવતર પહેલ:ડાયાબિટીક દર્દીઓની હવે જિલ્લા કક્ષાએથી દેખરેખ થશે
મેડિકલ ક્ષેત્રે એક સાઈલન્ટ કિલર રોગ ગણાતા ડાયાબિટીસના વધતા કેસો ચિંતાજનક વધારો થયો છે. પહેલા મોટાભાગે આધેડ વયના લોકોમાં જોવા મળતો ડાયાબિટીસનો રોગના દાયરામાં આજે નાની વયના બાળકોથી લઈને યુવા અને મોટી ઉંમરના લોકોને પણ સપડાઈ ગયા છે. જેમાં બાળકોને નાની ઉંમરમાં થતા જુવેનાઇલ ડાયાબિટીસના વધતા કેસો ચિંતાજનક બાબત છે ત્યારે રાજ્યમાં આરોગ્ય વિભાગે તાજેતરમાં શરૂ કરેલા જુવેનાઇલ ડાયાબિટીસ નિયંત્રણ કાર્યક્રમમાં હવે ડાયાબિટીસ પીડિત બાળ દર્દીઓની હવે ભાવનગર જિલ્લા કક્ષાએથી દેખરેખ રખાશે. ભાવનગર મેડિકલ કોલેજ અને સર ટી. હોસ્પિટલના ઉપક્રમે તાજેતરમાં ટાઈપ-1 ડાયાબિટીસ (જુવેનાઈલ ડાયાબિટીસ) સારવાર અને નિયંત્રણ કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. જે અંતર્ગત ભાવનગર મેડિકલ કોલેજ દ્વારા જુવેનાઇલ ડાયાબિટીસના બાળ દર્દીઓને સારવાર અને માર્ગદર્શન મળે તેવા આશયથી હેલ્પ લાઈન નંબર જાહેર કર્યો છે. જુવેનાઇલ ડાયાબિટીસના બાળ દર્દીઓના માતા-પિતા ભાવનગર મેડિકલ કોલેજના હેલ્પ લાઈન નંબર ઉપરાંત જારી કરાયેલી ગૂગલ ફોર્મ લિંક મારફતે પણ માહિતી આપી શકે છે. જુવેનાઇલ ડાયાબિટીસ માટે ભાવનગર મેડિકલ કોલેજના હેલ્પ લાઈન નંબર તથા ગૂગલ ફોર્મ લિંક મારફતે આવેલ માહિતીનું એકત્રીકરણ કરી દર્દીઓને સારવાર અને માર્ગદર્શન આપવાની રણનીતિ નક્કી કરવામાં આવશે. જેમાં 0 થી 12 વર્ષ ઉંમરના ટાઈપ-1 ડાયાબિટીસ મ્લાઇટ્સ (જુવેનાઇલ ડાયાબિટીસ)ના દર્દીઓ માટે સર.ટી.ના બાળરોગ વિભાગના HOD પ્રોફેસર ડો.મેહુલ ગોસાઈ થતા 12 વર્ષથી વધુ ઉંમરના ટાઈપ-1 ડાયાબિટીસ મ્લાઇટ્સ ના દર્દીઓ માટે સર.ટી.ના મેડિસિન વિભાગના HOD પ્રોફેસર ડો. સુનિલ પંજવાણીનો રૂબરૂ સંપર્ક કરી શકશે. હેલ્પ લાઈન અને ગૂગલ ફોર્મથી માહિતી આપી શકાશેભાવનગર સરકારી મેડિકલ કોલેજ અને સર.ટી. હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે શરૂ કરાયેલા જુવેનાઇલ ડાયાબિટીસ સારવાર સેન્ટર મારફતે જુવેનાઇલ ડાયાબિટીસ પીડિત દર્દીઓની સલાહ અને સારવાર આપવામાં આવશે.જે માટે હેલ્પ નંબર : 95123-04381 પર તથા ગૂગલ ફોર્મનો નિ યત ક્યુ.આર. કોડ સ્કેન કરી જુવેનાઇલ ડાયાબિટીસના બાળ દર્દીઓના માતા-પિતા માહિતી આપી શકશે. જે માહિતીના આધારે દર્દીઓની ડાયાબિટીસ સારવાર સેન્ટર મારફતે દેખરેખ રાખી શકાશે ભાવનગર શહેર અને જિલ્લામાં સઘન કામગીરી કરાશેરાજ્યમાં આરોગ્ય વિભાગના જુવેનાઇલ ડાયાબિટીસ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં પણ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં જુવેનાઇલ ડાયાબિટીસથી પીડિત દર્દીઓને પૂરતા માર્ગદર્શન સાથે જરૂરી સારવાર મળે તે માટે ભાવનગર શહેર અને જિલ્લામાં સઘન કામગીરી કરાશે. - ડો.ચિન્મય શાહ ડીન, સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર
ભાવનગર રેલવે ડિવિઝન તળેની 4 જોડી સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરોના મળી રહેલા અભૂતપૂર્વ આવકારને કારણે યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખી રેલવે તંત્ર દ્વારા ફ્રિકવન્સી વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભાવ. ડિવિઝનના સીનિયર ડીસીએમ અતુલકુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 09207 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ જે અગાઉ 26 ડિસેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે 27 ફેબ્રુઆરી 2026 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09208 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ, જે અગાઉ 25 ડિસેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે 27 ફેબ્રુઆરી 2026 સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 09211 ગાંધીગ્રામ - બોટાદ સ્પેશિયલ જે અગાઉ 31 ડિસેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તે હવે 28 ફેબ્રુઆરી 2026 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 09212 બોટાદ-ગાંધીગ્રામ સ્પેશિયલ, જે અગાઉ 31 ડિસેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તે હવે 28 ફેબ્રુઆરી 2026 સુધી લંબાવવામાં આવી છે. ભાવ.-ગાંધીગ્રામ સ્પેશિયલ, જે અગાઉ 31 ડિસેમ્બર 2025 સુધી અધિસૂચિત કરાઈ હતી, તેને હવે 28 ફેબ્રુઆરી 2026 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 09215 ગાંધીગ્રામ-ભાવનગર સ્પેશિયલ, જે અગાઉ 31 ડિસેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તે હવે 28 ફેબ્રુઆરી 2026 સુધી લંબાવવામાં આવી છે. ભાવનગર-ધોળા સ્પેશિયલ અગાઉ 31 ડિસે. 2025 સુધી અધિસૂચિત કરાઈ હતી, તેને હવે 28 ફરવરી 2026 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09529 ધોલા-ભાવનગર સ્પેશિયલ જે અગાઉ 31 ડિસેમ્બર 2025 સુધી અધિસૂચિત કરાઈ હતી, તેને હવે 28 ફેબ્રુઆરી 2026 સુધી લંબાવાઈ છે. ભાવનગર ટર્મિનસ સ્ટેશન પર પીટ લાઇનની મરામત માટે ચાલતા કામને લીધે ધોળા–ભાવ.ધોળા દૈનિક સ્પેશિયલ ટ્રેન 25 જાન્યુઆરી, 2026 સુધી રદ રખાઈ છે. આ કામ પૂર્ણ થયા બાદ ટ્રેનને 26 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી, 2026 સુધી વિસ્તૃત કરાઈ છે. અભૂતપૂર્વ આવકાર છતા કટકે કટકે એક્સટેન્શનભાવનગર રેલવે ડિવિઝનની 0 નંબરથી શરૂ થતી સ્પેશિયલ ટ્રેનો જ્યારથી શરૂ કરવામાં આવી છે ત્યારથી અભૂતપૂર્વ આવકાર મળી રહ્યો છે, અને રેલવેને પણ તેની નોંધપાત્ર આવક મળી રહી છે. પરંતુ આ સ્પેશિયલ ટ્રેનોની ફ્રિકવન્સી ત્રણ-ત્રણ મહિના માટે વધારવામાં આવે છે, કાયમી ધોરણે આ ટ્રેનો ફાળવવામાં આવે તો મુસાફરોના આયોજનો શક્ય બની શકે છે.
વેધર રિપોર્ટ:રાત્રે તાપમાન સામાન્યથી 3 ડિગ્રી વધુ
ભાવનગર શહેરમાં ડિસેમ્બરનો અંત ભાગ આવી ગયો છતાં કડકડકતી ઠંડી જામી નથી. શહેરમાં આજે લઘુત્તમ ઉષ્ણતામાન વધીને 16.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું છે. શહેરમાં આજે રાતના સમયે સામાન્ય કરતા 3 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયું હતુ. જ્યારે મહત્તમ તાપમાન 27.9 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. શહેરમાં પવનની ઝડપ 8 કિલોમીટર નોંધાઇ હતી. પવનની દિશા ઉત્તરની ન થતા અને બરફવર્ષાના પવનની અસર ભાવનગરમાં ન આવતા હજી કોલ્ડ વેવ સર્જાયો નથી. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 28.9 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ તે આજે એક ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 27.9 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. 24 કલાક અગાઉ શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 16.2 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે વધીને 16.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા બપોરના સમયે તાપમાન ઘટી રહ્યું છે પણ રાતના સમયે શિયાળાના મધ્ય જેવી ઠંડીનો અનુભવ થઇ રહ્યો નથી. શહેરમાં બે દિવસ હવાનું પ્રદૂષણ વધશેભાવનગરમા રવિવાર તથા સોમવારના રોજ સવારના 6થી9 ધુમ્મસવાળી સવાર લાગશે એટલે હવા ધુમ્મસ-ધુમાડો અથવા ધૂળથી ભરેલી રહેશે. જેના કારણે દૃશ્યતા ચારથી 6 કિલોમીટર સુધી ઘટી જવાની શકયતા છે વાતાવરણ અસ્પષ્ટ બનસે અને વસ્તુઓ ઝાંખી અથવા અસ્પષ્ટ દેખાશે વળી સૂર્ય વરાળના પડદામાંથી નિસ્તેજ ડિસ્ક જેવો દેખાશે. વસ્તુઓ ઓછી તીક્ષ્ણ અને વધુ અસ્પષ્ટ અને ઝાંખી દેખાશે. સવારનુ તાપમાન 15 ડિગ્રીથી 16 ડિગ્રી સેન્ટીગ્રેડ રહેશે તેમજ ભેજ 65થી 70% રહેશે. હવાની ગુણવત્તા 140થી160 જેને બીનઆરોગ્યપદ ગણી શકાય. પવનની ઝડપ હળવી 5-7 કિમી/કલાક રહેશે. PM નુ સ્તર wHO ની માર્ગદર્શિકા કરતા 5થી 6 ગણુ વધારે રહેશે જે હાનિકારક બનશે [PM એટલે હવામા તરતા કણો] - બી.આર. પંડિત, હવામાનશાસ્ત્રી
ભાવનગર કોર્પોરેશન દ્વારા પ્રતિ વર્ષ મેજ ડાયરી પ્રસિદ્ધ કરવામાં આવતી હોય છે. આગામી વર્ષ મહાનગરપાલિકાની ચૂંટણીનું વર્ષ છે. અને વર્તમાન બોડીની મુદત પણ માર્ચ 2026 માં પૂર્ણ થાય છે. તેમ છતાં જાન્યુઆરી થી ડિસેમ્બર 2026 સુધીની કોર્પોરેશનની રૂ.6.80 લાખના ખર્ચે 2000 મેજ ડાયરી પ્રસિદ્ધ કરવાની સંપૂર્ણ તૈયારી છે. માર્ચ પછી નવી ચૂંટાઈને આવનાર બોડીને નવ મહિના જુના ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓની પ્રસિદ્ધિ પચાવવી પડશે. ભાવનગર કોર્પોરેશન દ્વારા દર વર્ષે પ્રસિદ્ધ કરવામાં આવતી મેજ ડાયરી માહિતી સભર હોય છે. તેમાં પ્રસિદ્ધ કરવામાં આવતા ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓના ફોટા અને એડ્રેસ સાથેના સંપર્ક નંબરો અને કોર્પોરેશનના તમામ વિભાગોના મુખ્ય જવાબદાર અધિકારીઓના સંપર્ક નંબરો તેમજ શહેરના અગત્યના સંપર્ક નંબરો પ્રજાજનો માટે પણ ખૂબ જ ઉપયોગી છે. સાથોસાથ કોર્પોરેશનના જુદા જુદા વિભાગોની મુખ્ય કામગીરી સહિતની વિગતો પણ લોકોને માર્ગદર્શન પૂરું પાડે છે અને કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી કામગીરીનું વર્ણન કરે છે. કોર્પોરેશનની મેજ ડાયરી ભૂતકાળમાં નાણાકીય વર્ષ પ્રમાણે માર્ચથી એપ્રિલ દરમિયાન બહાર પાડવામાં આવતી હતી. પરંતુ છેલ્લા બે વર્ષથી કેલેન્ડર વર્ષ મુજબ એટલે કે, જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના પેઇઝ પ્રમાણે મેજ ડાયરી પ્રકાશિત કરવામાં આવી રહી છે. આગામી જાન્યુઆરીથી ડિસેમ્બર 2026 સુધીની મેજ ડાયરી પ્રસિદ્ધ કરવા માટે તંત્ર દ્વારા અંતિમ તબક્કાની તૈયારી પૂર્ણ થઈ છે. જેનો 6.80 લાખ ખર્ચ થવા જઈ રહ્યો છે. કોર્પોરેશનની વર્તમાન બોડીની ટર્મ આગામી માર્ચ 2026 માં પૂર્ણ થશે. અને ત્યારબાદ નવી ચૂંટાયેલી બોડી સત્તા પર રહેશે. પરંતુ નવા ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓને 9 મહિના જુના નગરસેવકોના ફોટા અને કામગીરી જોવી પડશે. અને નવ મહિના સુધી જુના નગરસેવકોની વિગતો જ લોકો સમક્ષ રહેશે. એટલે કે, તેટલી વિગત અર્થવિહીન બની રહેશે.
સન્ડે બિગ સ્ટોરી:માફીયાઓએ 3 વર્ષમાં 28,175 મેટ્રિક ટન ખનીજની ચોરી કરી
શહેર જિલ્લામાં અસામાજીક તત્વો, દેશી વિદેશી દારૂના બૂટલેગરો, ડ્રગ્સ પેડલરો બાદ હવે ખનીજ ચોરો નો પણ આંતક સામે આવ્યો છે. જિલ્લામાં ખનિજ ચોરો દ્વારા ત્રણ જ વર્ષમાં 28175 મેટ્રિક ટન ખનીજ ની ઘોર ખોદી નાખી હોવાનું સામે આવ્યું છે જ્યારે ખાન ખનીજ વિભાગે ત્રણ વર્ષમાં 11.07 કરોડની દંડની વસૂલાત કરી છે. ભાવનગર જિલ્લામાં ગેરકાયદે ખનન, વહન અને સંગ્રહ સામે ભાવનગર ખાન ખનિજ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે. છેલ્લા ત્રણ વર્ષ માં રેતી, માટી, મોરમ, સોફ્ટ મોરમ, કપચી તથા ડુંગર ખનિજના ગેરકાયદે ખનનમાં ભારે વધારો નોંધાયો છે. ત્રણ વર્ષના ગાળામાં સૌથી વધુ માટી અને મોરમનું ખનન થતાં સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચ્યું છે. ભાવનગર જિલ્લામાં એક જ ખનિજ ચોર અનેક વખત ઝડપાયો હોવાની નોંધ પણ મળી છે. ખાસ કરીને ભાવનગર, ઘોઘા, તળાજા, સિહોર અને ગારિયાધાર પંથક ગેરકાયદે ખનનના હોટસ્પોટ બન્યા છે. એકજ ખનીજ ચોર અનેકવાર તસ્કરીમાં ઝડપાયા ખનન, વહન અને સંગ્રહના 801 કેસો કરાયાભાવનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં ખનન, વહન અને સંગ્રહ ના 801 જેટલા કેસોમાં અનેક ખનિજ માફીયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાઈ છે અને 11 કરોડ થી વધુનો દંડ ફટકાર્યો છે. આગામી સમયમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેશે. - જાલોનધ્રા ભૂસ્તર શાસ્ત્રી ભાવનગર
રાજકોટનું પત્તું કપાયું:રાજકોટ ભાજપની અસંગઠિત ટીમ પ્રદેશ સંગઠનમાંથી પણ કપાઇ ગઇ
ગુજરાત પ્રદેશ ભાજપની નવી ટીમમાં મહામંત્રી પદ રાજકોટને મળશે તેવો માહોલ રાજ્યભરમાં હતો, પરંતુ શનિવારે મોડીસાંજે પ્રદેશ ભાજપની નવી ટીમ જાહેર થઇ તેમાં રાજકોટનું પત્તું કાપી નખાયું છે. મંત્રીમંડળમાં પણ અનેક ધારાસભ્યો દાવા કરી રહ્યા હતા અને સંગઠનમાં પણ કેટલાક નામો આગળ દોડી રહ્યા હતા, પરંતુ યાદી જાહેર થઇ ત્યારે આગળ દોડતાં ઘોડા ચિત્રમાં ક્યાંય નહીં દેખાતા શહેર ભાજપમાં સોપો પડી ગયો હતો. પ્રદેશ ભાજપનું નવું માળખું જાહેર થયું જેમાં ચાર મહામંત્રીના નામો જાહેર થયા તેમાં રાજકોટ જિલ્લાના ડો.પ્રશાંત કોરાટનો સમાવેશ કરવામાં આવ્યો છે અને પ્રદેશના મીડિયા ઇન્ચાર્જ તરીકે રાજકોટ શહેરના પ્રશાંત વાળાને સમાવવામાં આવ્યા છે આ સિવાય યાદીમાં રાજકોટ શહેર કે જિલ્લાના એકપણ આગેવાનનો સમાવેશ થયો નથી. એટલું જ નહીં યુવા મોરચા, મહિલા મોરચા, કિસાન મોરચા, ઓબીસી મોરચા, એસ.સી. મોરચા, એસ.ટી. મોરચા અને લઘુમતી મોરચાના પ્રમુખની 5 જાહેરાત કરવામાં આવી છે અને આ એકપણ મોરચામાં રાજકોટ શહેરનો સમાવેશ નહીં કરી રાજકોટ ભાજપને પ્રદેશે જોરનો ઝટકો આપ્યો છે. પ્રદેશ મહામંત્રી પદ માટે રાજકોટમાંથી સૌથી આગળ ડો.ભરત બોઘરાનું નામ ચાલતું હતું. આ ઉપરાંત પણ બે નામની પ્રબળ દાવેદારી હતી, પરંતુ યાદી જાહેર થઇ તેણે સૌને ચોંકાવ્યા હતા. ડો.પ્રશાંત કોરાટની નિયુક્તિથી રાજકોટ શહેર ભાજપમાં સોપો પડી ગયો હતો. વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે રાજકોટ શહેરનો રાજ્યભરમાં દબદબો હતો, પરંતુ તેમના નિધન બાદ શહેર ભાજપની હાલત કફોડી બની છે, દરેક આગેવાન પોતાનું રાજકારણ મજબૂત કરવા પોતાનાને સ્થાન અપાવવા અને પોતાનું સ્થાન મજબૂત કરવા મથી રહ્યા છે. પ્રશાંત કોરાટને મહામંત્રી બનાવી ભાજપે રાદડિયાને ઝટકો આપ્યોનવા મંત્રીમંડળમાં જયેશ રાદડિયા નિશ્ચિત છે. તેમને કેબિનેટ મંત્રી બનાવાશે તેમનો કોઇ વિકલ્પ નથી, તેમની કોઇ સ્પર્ધા નથી આવી અનેક વાતો રાજકીય પંડિતો અને રાદડિયાના ટેકેદારો કહી રહ્યા હતા. મંત્રીમંડળના શપથ વખતે સ્ટેજની સામે બેઠેલા રાદડિયાએ પરાણે ચહેરો હસ્તો રાખીને પાર્ટીનો આદેશ શિરોમાન્ય હોવાની વાત મીડિયા સમક્ષ કરી હતી. મંત્રીપદ નહીં મળતાં પ્રદેશ ભાજપના મહામંત્રી બનાવી પાર્ટી તેમની તાકાતનો ઉપયોગ કરશે તેવી વાતો બાદમાં શરૂ થઇ હતી. જયેશ રાદડિયાને તો પાર્ટીએ કોઇ હોદ્દો ન આપ્યો, પરંતુ તેના કટ્ટર રાજકીય હરીફ મનાતા જેતપુરના પ્રશાંત કોરાટને મહામંત્રી બનાવી ભાજપે જયેશ રાદડિયાને મોટો ઝટકો આપ્યાનું રાજકીય પંડિતો માની રહ્યા છે અને આ ઝટકાની અસર આગામી મહિનાઓમાં દેખાશે તેવો ગણગણાટ પણ શરૂ થઇ ગયો હતો. રાજકોટમાંથી ડો. બોઘરા, ઉદય કાનગડ, મીરાણી અને અરવિંદ રૈયાણીની બાદબાકી કરી નખાઇપ્રદેશ ભાજપના નવા સંગઠનમાં મહામંત્રી પદ માટે રાજકોટ શહેરમાંથી ડો.ભરત બોઘરાનું નામ સૌથી આગળ ચાલતું હતું. પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે સી.આર.પાટીલ હતા ત્યારે તેમની ટીમમાં બોઘરા ઉપપ્રમુખ હતા અને તેમનો દબદબો હતો. નવા સંગઠનમાં બોઘરાના અનુભવનો ઉપયોગ થશે તેવું નિશ્ચિત મનાતું હતું, પરંતુ તેમને નવી ટીમમાં સમાવવામાં આવ્યા નથી. નવા મંત્રીમંડળમાં રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડનું નામ છેલ્લે સુધી ચર્ચામાં હતું. મંત્રીપદ ન મળ્યા બાદ કાનગડ પ્રદેશના મહામંત્રી બનશે તેવા દાવા થઇ રહ્યા હતા, પરંતુ તેમને પણ ધારાસભ્ય તરીકે જ લોકોની સેવા કરવાનો પક્ષે આદેશ આપ્યો હોય તેવું લાગે છે. શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણીએ પણ મહામંત્રી પદ માટે પોતાનો ઘોડો દોડાવ્યો હતો, પરંતુ તે ઘોડો નિશ્ચિત સ્થાન સુધી પહોંચી શક્યો નથી. પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી કેટલાક મહિનાથી ફરી સક્રિય બન્યા હતા અને પ્રદેશની ટીમમાં કોઇ હોદ્દો લઇ આવશે તેવું તેમના ટેકેદારો કહી રહ્યા હતા, પરંતુ રૈયાણીને પણ સમાવવામાં આવ્યા નથી. શહેર ભાજપ પ્રમુખ, પ્રભારી, 2 નિરીક્ષક તમામ દાવેદારોના નામની યાદી રજૂ કરશેરાજકોટ શહેર પ્રમુખની નિયુક્તિના 10 મહિના વીતી ગયા છે છતાં તેમને નવી ટીમ મળી નથી, પરંતુ હવે ઇંતજારની ઘડી નજીક આવી ગઇ છે અને અઠવાડીયામાં નવી ટીમ જાહેર થઇ જશે. સોમવારે શહેર પ્રમુખ સહિતના ચાર આગેવાન પ્રદેશ અધ્યક્ષ સાથે નવા નામોની ચર્ચા કરશે, ત્યારબાદ નજીકના દિવસોમાં નવા હોદ્દેદારોના નામ જાહેર કરાશે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે દશ મહિના પહેલાં ડો.માધવ દવેના નામની જાહેરાત થઇ હતી. નવા પ્રમુખની સાથે જ તેમની નવી ટીમની જાહેરાત થઇ જશે તેવી વાતો તત્કાલીન સમયે થઇ હતી, પરંતુ દશ દશ મહિના વીતી ગયા છતાં નવું માળખું રચાયું નથી. એકાદ મહિના પહેલાં પ્રદેશ ભાજપે નિરીક્ષકોની યાદી જાહેર કરી હતી અને શહેર ભાજપના અપેક્ષિતો સાથે બેઠક કરી નવા માળખાના નામોની ચર્ચા કરી હતી અને ત્રણ મહામંત્રી સહિત 22 હોદ્દેદારની યાદી માટે એક હોદ્દા માટે ત્રણ ત્રણ નામની પેનલ તૈયાર કરી હતી. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકર છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના અલગ અલગ શહેર જિલ્લાના પ્રમુખો અને પ્રભારીને બોલાવી નવા સંગઠનના નામોની ચર્ચા કરી રહ્યા છે. સોમવારે રાજકોટ શહેરના પ્રમુખ અને પ્રભારીને બોલાવવામાં આવ્યા છે અને નવા સંગઠનના નામની ચર્ચા થશે. શહેર ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના નવા સંગઠનમાં જે નામોની પેનલ તૈયાર કરી છે તે તમામ દાવેદારોની સામાજિક છાપ, તે કઇ જ્ઞાતિના છે, તેની ક્ષમતા સહિતની બાબતોને ધ્યાને રાખી અંતિમ યાદી તૈયાર કરાશે. નવા સંગઠનમાં ભાજપના સાચા અને સક્ષમ કાર્યકરની જ પસંદગી કરાશે તેવા દાવા હાલમાં કરવામાં આવી રહ્યા છે, શહેર પ્રમુખ માધવ દવેની નિયુક્તિના દશ મહિના વીતી ગયા છે. આ ગાળા દરમિયાન પાર્ટીના કાર્યક્રમોમાં તેમણે એકલવીર તરીકેની ભૂમિકા ભજવી છે ત્યારે એક અઠવાડિયામાં હવે તેમને નવી ટીમ મળી જશે. મહાનગરપાલિકાની ચૂંટણી પણ આગામી મહિનાઓમાં યોજાવાની છે ત્યારે તમામ સમીકરણોને ધ્યાને લઇને ટીમ તૈયાર થશે અને નવી ટીમ સામે મનપાની ચૂંટણીમાં પાર્ટીની ઐતિહાસિક જીત મેળવવાનો પડકાર રહેશે.
‘હું સુરતથી હરિભકત ગોપાલભાઈ છું, મારી દીકરીને ભાવનગરની સરકારી કોલેજમાં એડમિશન મળી ગયું છે, મેં ભગવાનને 51 ગ્રામ સોનું અર્પણ કરવાનો સંકલ્પ કર્યો છે’. જેથી અમે કાલે સવારે મંદિરે આવીશું, તમે હાર મગાવી રાખજો. તેવું કહી વાસણાના સ્વામિનારાયણ મંદિરમાં આવી રૂ.6.51 લાખનો ચેક આપી બહાર ગાડીમાં બેઠેલી પત્નીને હાર બતાવવાના બહાને બે ગઠિયા હાર લઈ ભાગી ગયા હતા. ક્રાઈમ બ્રાંચે બેમાંથી એક ગઠિયાને ઝડપી લીધો હતો. આ બંનેએ ગુજરાતના 14 સ્વામિનારાયણ મંદિરોને ટાર્ગેટ કરી અંદાજે 1 કરોડના હાર પડાવ્યા હતા. આરોપી શૈલેષે 9 વર્ષમાં પોરબંદર, રાજકોટ, ભાવનગર, સુરત, ભુજ, મહેસાણા અને વાસણા મળી 14 મંદિરમાં આ જ રીતે સોનાના રૂ.1 કરોડની કિંમતના 14 હારની ઠગાઈ કરી હતી. જ્યારે તેનો સાથી કલ્પેશ ફરાર છે. 9 વર્ષ પહેલાં શૈલેષની હિંમત ખુલીરાજકોટનો વતની શૈલેષ સ્વામિનારાયણ સત્સંગી હોવાથી ટીકો કરીને મંદિરોમાં અવરજવર કરતો હોવાથી ત્યાંના રીત-રિવાજને સારી રીતે જાણતો હતો. સંકલ્પ પૂરો થતા હરિભકતો મંદિરોમાં સોનાના દાગીનાની ભેટ આપતા હોવાની વાત તે સારી રીતે જાણતો હતો. તેથી તેણે 9 વર્ષ પહેલાં પોરબંદરના મંદિરને ટાર્ગેટ કરી હાર પડાવ્યો હતો. જેમાં સફળ થતા તેની હિંમત વધી ગઈ હતી. ગૂગલ પરથી મંદિરોના નામ-સરનામાં, કોઠારી સ્વામીના નામ-નંબર મેળવતો હતો. બધી જગાએ ખોટો ચેક પધરાવી સેટ પડાવ્યા હતા.
ગુજરાતની બધી યુનિવર્સિટીઓને તેમની યુનિવર્સિટીના જુદા જુદા ભવનોમાં આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર અને પ્રોફેસરની ભરતી માટે યુજીસી રેગ્યુલેશન સમાન રીતે લાગુ પડે છે. આ સંજોગોમાં ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં ભરતી વખતે આવેલ અરજીઓ પૈકી અધ્યાપકોનો અનુભવ ક્યો માન્ય રાખવો તે સંદર્ભે મતમતાંતર પ્રવર્તી રહ્યા છે. આ મુદ્દે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.નિદત બારોટે રાજ્યના ઉચ્ચ શિક્ષણ કમિશનરને લેખિત રજૂઆત કરી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, ફિક્સ પગારમાં અધ્યાપક સહાયક તરીકે જે અધ્યાપકોએ કામ કર્યું છે અને હવે યુનિવર્સિટીઓમાં એસોસિયેટ પ્રોફેસર અથવા પ્રોફેસર માટે અરજી કરે ત્યારે તેમણે અધ્યાપક સહાયક તરીકે કરેલા કામનો અનુભવ ધ્યાનમાં લેવાનો છે. ગુજરાત સરકાર દ્વારા તારીખ 16/02/2024 થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને અગાઉ આ બાબતની જાણ કરેલી છે. આમ છતાં આ બાબતનો યોગ્ય પ્રતિભાવ નવી ભરતીમાં મળી રહ્યો નથી. જ્યારે જુદી જુદી યુનિવર્સિટીઓમાં આ બાબતની જાણ ન હોય તેવું પણ બને. જેથી તા.23/02/2024ના રોજ ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી દ્વારા આઉટવર્ડ નંબર 545થી જે પત્ર કરવામાં આવ્યો છે તે બાબતની જરૂરી સ્પષ્ટતા કરતી વિગત ગુજરાતની બધી જ યુનિવર્સિટીઓને મોકલી આપવાની જરૂરિયાત છે.
કેરાલાના રાજ્યપાલ દ્વારા આહ્વાન:‘સોને કા શેર’ રાષ્ટ્ર નિર્માણ કરવું છે
રાજકોટ | પ્રાંસલા મુકામે તા.4 જાન્યુઆરી સુધી યોજાનાર 26મી રાષ્ટ્રકથા શિબિરનો વૈદિક યજ્ઞથી શુભારંભ થયો હતો. જેમાં કેરાલાના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, રાજ્યના વન-પર્યાવરણ-ક્લાઇમેટ ચેન્જ અને સાયન્સ-ટેક્નોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, આસામ રાઇફલના ડીજી લેફ્ટનન્ટ જનરલ વિકાસ લાખેરા સહિતના અગ્રણીઓ સામેલ થયા હતા. સ્વામી ધર્મબંધુજીએ કહ્યું હતું કે, ‘પ્રત્યેક સૈનિક એ યુનિફોર્મમાં સજ્જ નાગરિક છે અને પ્રત્યેક નાગરિક એ યુનિફોર્મ વિનાનો સૈનિક છે.’ બાહ્મ સુરક્ષા જેટલી જ આંતરિક સતર્કતા અને સંયમની આવશ્યકતા છે. જ્યારે કેરાલાના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર પુનએ પોતાના વક્તવ્યમાં ‘સોને કી ચીડિયા’ નહીં, સંપત્તિવાનની સાથે સશક્ત ‘સોને કા શેર’ રાષ્ટ્ર નિર્માણ કરવા આહ્વાન કર્યું હતું. આસામ રાઇફલના ડીજી લેફ્ટનન્ટ જનરલ વિકાસ લાખેરાએ કહ્યું કે, જ્યારે માની શિખામણ ભૂલી જઇએ છીએ ત્યાંથી ખરાબ કૃત્યોનો આરંભ થાય છે.
રાજકોટ બન્યું સાક્ષાત સાળંગપુરધામ:યુવા કથાની પોથીયાત્રા, 31st નહીં, બજરંગબલી ફર્સ્ટ
રંગીલા રાજકોટના આંગણે આસ્થા અને યુવા શક્તિનો અદભુત સંગમ રચાયો છે. શહેરના હૃદય સમાન રેસકોર્સ ગ્રાઉન્ડમાં સાળંગપુરધામ કષ્ટભંજન દેવના સાંનિધ્યમાં ‘હનુમાન ચાલીસા યુવા કથા’નો ભવ્ય પ્રારંભ થયો છે. 2 જાન્યુઆરી સુધી ચાલનારો આ મહોત્સવ માત્ર એક કથા નથી, પરંતુ રાજકોટવાસીઓની અતૂટ ભક્તિનું પ્રતીક બની રહ્યો છે. કથાના પ્રારંભ પૂર્વે શનિવારે બપોરે વિરાણી હાઈસ્કૂલ મેદાનથી એક ઐતિહાસિક પોથીયાત્રા નીકળી હતી. આ યાત્રામાં હાથી, ઘોડા, વિન્ટેજ કારોનો કાફલો, નાસિક ઢોલના ગુંજારવ અને બુલેટસવારોએ રાજકોટના માર્ગો પર કેસરિયો માહોલ સર્જ્યો હતો. ખાસ કરીને અઘોરી નૃત્ય અને બાહુબલી હનુમાનના પાત્રોએ લોકોના દિલ જીતી લીધા હતા. આ કથામાં પશ્ચિમી સંસ્કૃતિને તિલાંજલિ આપી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાનો પ્રયાસ કરાયો છે. 31મી ડિસેમ્બરની રાત્રે યુવાનો ક્લબ કે પાર્ટીઓના બદલે હનુમાનદાદાની આરાધના સાથે નવા વર્ષને વધાવશે. આ દિવસે 151 કિલોની કેક, 108 કિલો પુષ્પવર્ષા અને ભવ્ય અન્નકૂટના દર્શનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સેવાનો મહાયજ્ઞ | 5 લાખ પ્રસાદ કિટ અને 3000 સ્વયંસેવક અઘોરી નૃત્ય અને નાસીકની ઢોલ ટીમે આકર્ષણ જમાવ્યુંકથા માટે રેસકોર્સ મેદાનને ખાસ સાળંગપુર થીમ પર સજાવવામાં આવ્યું છે. અહીં 52 ફૂટ ઊંચું સાળંગપુર હનુમાનજીનું ભવ્ય મંદિર પ્રતિકૃતિ સ્વરૂપે ઊભું કરાયું છે, જે ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વિશાળ ડોમમાં એકસાથે 50,000થી વધુ ભક્તો બેસી શકે તેવી અદ્યતન વ્યવસ્થા કરવામાં આવી છે. 7 દિવસ સુધી દરરોજ રાત્રે 7:30થી 11:30 વાગ્યા સુધી હરિપ્રકાશદાસજી સ્વામીના મુખેથી હનુમાનજીના જીવન ચરિત્રનું ભક્તો રસપાન કરશે. હનુમાન ચાલીસા યુવા કથાના પ્રારંભે નીકળેલી પોથી યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો ઊમટી પડ્યા હતા. આ યાત્રાનું શહેરના મુખ્ય માર્ગો પર ઠેર-ઠેર સ્વાગત કરાયું હતું. યુવાનો સાફા પહેરીને અને બાળકો હનુમાનજીના વેશમાં જોડાયા હતા.
મિત્રતાનો ગેરલાભ લઈને ઠગાઈ:બેંક કર્મચારીએ મિત્રના નામે બારોબાર વ્યવહાર કરી નાખ્યા
કોલેજ સમયની મિત્રતાનો ગેરલાભ ઉઠાવી ખાનગી બેંકના કર્મચારીએ તેના મિત્ર અન્ય એક બેંકના કર્મચારીના મહત્ત્વના દસ્તાવેજો મેળવી લઇ પોતાની બેંકમાં ચાર ખાતા ખોલી નાખી લાખો રૂપિયાના આર્થિક વ્યવહાર કરી નાખ્યા હતા. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. લક્ષ્મીવાડીમાં રહેતા અને ખાનગી બેંકમાં રિલેશનશિપ મેનેજર તરીકે ફરજ બજાવતાં જયદીપ હરેશભાઇ ચાવડા (ઉ.વ.32)એ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અન્ય એક ખાનગી બેંકમાં નોકરી કરતાં તેના મિત્ર નિલ પંકજ દફતરીનું નામ આપ્યું હતું. તા.19 સપ્ટેમ્બર 2025ના નિલ જે બેંકમાં નોકરી કરે છે તેના કર્ચારીઓ જયદીપના ઘરે ગયા હતા અને ડોક્યુમેન્ટ સબમિટ કરવાનું કહ્યું હતું. જોકે પોતાનું કોઇ એકાઉન્ટ તે બેંકમાં નહીં હોવાનું જયદીપે કહેતા કર્મચારીઓે તેને બીજા દિવસે બેંકે બોલાવ્યા હતા. જયદીપ ચાવડા બેંકે ગયા ત્યારે ત્યાં નિલ દફતરી પણ હાજર હતો અને તપાસ કરતાં જયદીપના પોલિસી વખતના ડોક્યુમેન્ટનો ગેરલાભ ઉઠાવી નિલે જયદીપના નામના એકાઉન્ટ ખોલી ઠગાઇ આચરી હતી.
રાજકોટ જિલ્લામાં સ્થાનિક ભૂસ્તરશાસ્ત્રીની કચેરી મૂર્છિત બની ગઈ હોય તેવી સ્થિતિમાં ખનીજચોરી કરતા તત્ત્વો બેફામ અને બેખૌફ બની રેતી, કપચીનું ગેરકાદેસર ખનન અને પરિવહન કરી રહ્યા છે ત્યારે ચાલુ મહિનામાં ઉપલેટા પંથકમાં રેતીનું ખનન ઝડપી લીધા બાદ રાજકોટ તાલુકાના રામપર બેટી નજીક સાતડા ગામેથી ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે સ્થાનિક ખાણ ખનીજ વિભાગને ઊંઘતું ઝડપી લઇ બ્લેકટ્રેપ એટલે કે, કપચીનું મોટા પ્રમાણમાં ખનન ઝડપી લઈ અંદાજે રૂ.70 લાખની કિંમતના બે હિટાચી મશીન કબજે કર્યા હતા. રાજકોટ તાલુકાના રામપર બેટી વિસ્તારમાં મોટા પ્રમાણમાં બેલ્કટ્રેપની લીઝ આવેલી છે ત્યારે રામપર બેટી અને સાતડા ગામે કેટલાક તત્ત્વો દ્વારા ગેરકાયદેસર રીતે બ્લેકટ્રેપ ખનીજનું ખનન કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ ફ્લાઈંગ સ્ક્વોડના મદદનીશ નિયામકને મળતા ફ્લાઈંગ સ્ક્વોડ ટીમને બનાવ સ્થળે દોડાવવામાં આવી હતી. જે દરમિયાન સાતડા ગામે નદી પટ વિસ્તારની બાજુમાં બે હ્યુન્ડાઈ કંપનીના એક્સકેવેટર (હિટાચી) મશીન દ્વારા બ્લેકટ્રેપ ખનીજનું ખનન ચાલુ હોવાનું જોવા મળતા બ્લેકટ્રેપ ખનીજના ગેરકાયદેસર ખનનમાં ઉપયોગમાં લેવામાં આવેલ બન્ને હિટાચી મશીન કિંમત રૂપિયા 70 લાખનો મુદ્દામાલ કસ્ટડીમાં લેવાયો હતો. ભાદરકાંઠો અને અમદાવાદ હાઇવે ખનીજચોરી માટે કુખ્યાતરાજકોટ જિલ્લામાં હાલમાં અમદાવાદ હાઇવે પરથી મોટા પ્રમાણમાં રેતી તેમજ બ્લેકટ્રેપનું ગેરકાયદેસર પરિવહન થઇ રહ્યું હોવાનું જગજાહેર છે. અગાઉ સ્થાનિક ખાણ ખનીજ વિભાગ દ્વારા અમદાવાદ હાઇવે, બેડી ચોકડી તેમજ ઉપલેટા પંથકમાં ભાદર નદીમાંથી થતી રેતીની ખનીજચોરી અટકાવવા સતત ટીમોને દોડતી રાખવામાં આવતી હતી. જોકે છેલ્લા છ મહિનાથી સ્થાનિક ખાણ ખનીજ વિભાગ નિષ્ક્રિય બની ગયો હોય ખનીજચોરોને મોકળું મેદાન મળ્યું છે. ખાસ કરીને મોડીરાત્રિના સમયે મોરબી હાઇવે, અમદાવાદ હાઇવે અને ઉપલેટા પંથકમાંથી ગેરકાયદેસર ખનીજનું વ્યાપક પ્રમાણમાં પરિવહન થતું હોવા છતાં પણ સ્થાનિક તંત્ર ખનીજચોરી અટકાવવા પ્રયત્નશીલ ન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સ્થળનું મેજરમેન્ટ બાદ આકરો દંડ ફટકારવામાં આવશેરાજકોટ ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડ ટીમે પોલીસ ટીમને સાથે રાખી સાતડા ગામની નદી નજીક બ્લેકટ્રેપનું ગેરકાયદેસર ખનન ઝડપી લેવા પ્રકરણમાં બનાવ સ્થળે હાજર ધર્મેન્દ્રભાઈ મનુભાઈ ધાંધલની પૂછતાછ કરતા આ વ્યક્તિએ હિટાચી મશીન પોતાના હોવાનું કબૂલી ખનન થયેલ વિસ્તારનો કબજો ભોગવટો તથા થયેલ ખનન ગેરકાયદેસર હોવાનું સ્વીકાર્યું હતું.જેથી ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા દરોડા સ્થળનું મેજરમેન્ટ કરી કેટલી ખનીજચોરી કરવામાં આવી છે તે સહિતની કાર્યવાહી બાદ આકરો દંડ ફટકારવાના સંકેત આપ્યા હતા.
યાત્રીઓ આપે ધ્યાન:ઓટોમેટિક સિગ્નલિંગને લીધે વંદે ભારત સહિત 6 ટ્રેન મોડી પહોંચી
પશ્ચિમ રેલવેના અમદાવાદ-વિરમગામ સેક્શનમાં ચાંદલોડિયા-આંબલી રોડ-ગોરાઘુમા-સાણંદ સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ સ્થાપિત કરવાના કાર્ય માટે 27 અને 28 ડિસેમ્બર 2025ના રોજ નોન-ઈન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેન પ્રભાવિત રહેશે. જેમાં એક ટ્રેન સંપૂર્ણ અને ત્રણ ટ્રેન આંશિક રદ, બે ટ્રેનના રૂટ બદલવા પડ્યા છે. આંશિક રીતે રદ ટ્રેન | ગાંધીનગર -વેરાવળ ઇન્ટરસિટી આંશિક રદ તા.28 અને 29 ડિસેમ્બરની ટ્રેન નં.19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ ગાંધીનગર અને સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રદ રહેશે. તા.28 ડિસેમ્બરની ટ્રેન 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી એક્સપ્રેસ સુરેન્દ્રનગર અને ગાંધીનગર કેપિટલ વચ્ચે આંશિક રદ રહેશે. પરિવર્તિત રૂટની ટ્રેન | વંદે ભારત એક્સપ્રેસનો રૂટ બદલવો પડ્યો
રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ઇતિહાસમાં સૌથી મોટા કહી શકાય તેવા મેગા ડિમોલિશનની તૈયારીના ભાગરૂપે જિલ્લા ક્લેક્ટર તંત્ર દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી લેનાર 1300થી વધુ આસામીને નોટિસ ફટકારી છે અને આવતીકાલે તા.29ને સોમવારથી સતત ત્રણ દિવસ સુનાવણી યોજનાર છે ત્યારે હાલ તો મેગા ડિમોલિશને રાજકીય રૂપ ધારણ કરી લીધું છે. કોંગ્રેસ દ્વારા અસરગ્રસ્તોને વૈકલ્પિક જગ્યા ફાળવ્યા બાદ જ ડિમોલિશન શરૂ કરવા માગણી કરી કાનૂની જંગ માટે પણ તૈયારી શરૂ કરી છે. રાજકોટ સિટી પૂર્વ મામલતદાર દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ અંતર્ગત જિલ્લા સમાહર્તાને ફાળવવામાં આવેલ જમીન પર દબાણ મામલે એકસાથે 1300થી વધુ દબાણકર્તાને નોટિસ ફટકારતા હાલમાં રાજકોટ જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યમાં ડિમોલિશનનો મુદ્દો હોટ ટોપિક બન્યો છે. ડિમોલિશન મુદ્દે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ મેદાને આવતા સમગ્ર મામલાએ હાલતો રાજકીય રંગ પકડ્યો છે. તેવામાં આવતીકાલે તા.29 તેમજ તા.30 અને 31 એમ ત્રણ દિવસમાં તમામ દબાણકર્તાઓને પુરાવા રજૂ કરવા સમય આપવામાં આવ્યો છે ત્યારે સુનાવણી બાદ હવે શું થાય છે તે જોવું રહ્યું. દબાણની દાસ્તાનજંગલેશ્વરમાં થયેલા દબાણ મુદ્દે આગામી દિવસોમાં વધુ વિવાદ થવાના છે ત્યારે સરકારી તંત્રનો વાંક શું છે ?, ભૂમાફિયાઓ કેવી રીતે ફાવ્યા ? તેનું અહીંયા વિશ્લેષણ કરવામાં આવ્યું છે. વાંક કોનો છે તે અંગે ચર્ચા થાય તો કેટલાક નેતાના નામ પણ બહાર આવે. RMCએ દબાણયુક્ત જમીન કલેક્ટર તંત્રને ધાબડી દીધી’તીમહાનગરપાલિકાએ ટીપી સ્કીમ નંબર-6ની અલગ અલગ ફાઇનલ પ્લોટની કુલ મળી 1.92 લાખ ચોરસમીટર જમીન જિલ્લા સમાહર્તા એટલે કે, જિલ્લા કલેક્ટરને ફાળવ્યા બાદ અહીં ટીપીનો રોડ, બ્રિજ તેમજ રિવરફ્રન્ટ માટે જમીનની જરૂરત હોય દબાણ હટાવવા માટે તજવીજ શરૂ થઇ છે ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી છે. વર્ષ 1986માં ટીપી સ્કીમ નંબર 6 ફાઇનલ થવા સમયે જિલ્લા સમાહર્તાને આરએમસીએ દબાણયુક્ત જ જમીન ફાળવી હોવાનું સામે આવ્યું છે. નિયમ મુજબ ટીપી સ્કીમ અમલમાં આવે ત્યારે સરકાર કે ખનગી પાર્ટીને જમીન ફાળવણી થાય ત્યારે પંચરોજકામ કરી કબજા સોંપવાના હોય છે. પરંતુ રાજકોટ શહેરમાં રાજકોટ, મવડી, નાનામવા, રૈયા, કોઠારિયા સહિતની મોટાભાગની ટીપી સ્કીમ જ્યારે ફાઇનલ થતી હોય છે ત્યારે આરએમસીના સત્તાધીશો મહેસૂલી તંત્ર એટલે કે કલેક્ટર તંત્રને અંધારામાં રાખી કાગળ ઉપર ફાઇનલ પ્લોટ ફાળવી દેતી હોવાનું અને આવી ફાઇનલ પ્લોટની મોટાભાગની જમીનો વોંકળા, નાળા તેમજ દબાણવાળી જમીન જ ધાબડી દઈ બળતું ઘર કૃષ્ણાર્પણ ઉક્તિ મુજબ કાર્યવાહી કરી રહ્યું છે. ટીપી સ્કીમ નંબર-6માં પણ આવી જ સ્થિતિ હોવાનું સામે આવ્યું છે. 39 વર્ષ સુધી દબાણો થતા રહ્યા અને તંત્રએ માત્ર તમાશો જોયોરાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર 6ના ફાઇનલ પ્લોટ નંબર 133, 136, 137 અને 159ની અંદાજે 1,92,000 ચોરસમીટરથી વધુ જમીન ટીપી ફાઇનલ થયા સમયે જિલ્લા સમાહર્તા એટલે કે, જિલ્લા કલેક્ટરને ફાળવવામાં આવ્યા બાદ 1986થી આ જમીન પર ખડકાયેલા વર્ષો જૂના દબાણો હટાવવા અચાનક જ સિટી પૂર્વ મામલતદાર દ્વારા 1300થી વધુ અસામીને નોટિસ ફટકારતા સો મણનો સવાલ ઊઠે છે કે, આવું શા માટે થાય છે. અંદાજે 39 વર્ષથી અહીં એક બાદ એક દબાણો ઊભા થતા ગયા ત્યારે આરએમસી કે ક્લેક્ટર તંત્રએ દબાણ અટકાવવા કેમ પ્રયાસ ન કર્યો ? આવા દબાણોને મનપાએ પાણીના કનેક્શન ક્યાં આધારે આપ્યા ? શા માટે આટલા વર્ષો સુધી તમાસો નિહાળ્યા બાદ અચાનક જ દબાણ હટાવવા પેરવી કરી નોટિસ ફટકારી સાથે કાનૂની ગૂંચવણ ઊભી ન થાય તે માટે કેવિએટ પણ દાખલ કરી, જોકે સળગતો સવાલ તો એ છે કે, તંત્ર આટલા વર્ષ કુંભકર્ણની નિદ્રામાં પોઢી ગયા બાદ હવે અચાનક જ રિવરફ્રન્ટ અને બ્રિજના નામે ખૂબ જ ટૂંકા ગાળાની નોટિસમાં ડિમોલિશનની તૈયારી કરતા દબાણ હટાવવાનો મુદ્દો તંત્ર માટે પડકારરૂપ બન્યો છે. આજી નદીના કાંઠે ખડકાયેલા દબાણો મામલે મનપાએ અગાઉ જ 938 આસામીને ફટકારી છે દબાણ હટાવવા નોટિસ રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના કાંઠે અંદાજે 50 વર્ષ પહેલાંના સમયથી દબાણ ખડકાઈ જતા રિવરફ્રન્ટ સહિતની યોજનામાં અંતરાયો ઊભા થયા છે. બીજી તરફ આજી નદીના કાંઠે જ દબાણ ઊભા થતા દર વર્ષે ચોમાસા દરમિયાન શાળા નંબર 70ની આસપાસનો વિસ્તાર જળમગ્ન થતો હોવાથી આરએમસીને દર વર્ષે રેસ્ક્યૂ કામગીરી કરવી પડે છે ત્યારે હવે વર્ષો જૂના દબાણ હટાવવા મામલે કોર્પોરેશન અને કલેક્ટર તંત્રએ હાથ મિલાવ્યા હોય તેવા ઘાટ વચ્ચે ગત ઓક્ટોબર માસમાં મહાનગરપાલિકાએ 938 આસામીને નોટિસ ફટકાર્યા બાદ હવે આ દબાણોને લાગુ જિલ્લા કલેક્ટર તંત્રને ફાળવવામાં આવેલ ટીપી સ્કીમ નંબર-6ની 1.92 લાખ ચોરસમીટર જમીન ખુલ્લી કરાવવા 1300થી વધુ આસામીને નોટિસ ફટકારવામાં આવતા સરકારી જમીન પર દબાણ ઊભા કરી લેનાર કુલ મળી 2200થી વધુ દબાણકારના દબાણ પર આરએમસી અને મહેસૂલી તંત્રના બુલડોઝર એકસાથે ચલાવવા તૈયારી કરી લેવામાં આવી હોવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે.
અમારી લડાઈ ટ્રસ્ટ સામે:વિરાણી સ્કૂલનું મેદાન બચાવવા કમિટી બની
રાજકોટ શહેરની વચ્ચોવચ્ચ શામજી વેલજી વિરાણી હાઇસ્કૂલને ફાળવવામાં આવેલ કરોડોની કિંમતી જમીન વર્તમાન ટ્રસ્ટીઓ વેચી મારવાની પેરવી કરી હાલમાં શાળાના બાળકોને રમવા માટેના મેદાનને ભાડે આપી દેવામાં આવતા વિરાણી હાઈસ્કૂલના જ ભૂતપૂર્વ છાત્ર દ્વારા છેલ્લા છ વર્ષથી લડત આપવામાં આવતા હાલમાં હાઇકોર્ટે સ્ટેટસ્ક્વો આપ્યો છે. જોકે તેમ છતાં હાલમાં વિરાણી સ્કૂલના મેદાનને ભાડે આપી શરતભંગ કર્યો હોય હવે વિરાણી હાઈસ્કૂલ મેદાન બચાવો આંદોલન છેડવામાં આવ્યું છે. શનિવારે રાષ્ટ્રીય શાળાના મધ્યસ્થ હોલ ખાતે મહાસંમેલન યોજી લડત માટે સમિતિની પણ રચના કરવામાં આવી હતી.જેમાં જાહેર કરાયું હતું કે, અમારી લડાઈ સરકાર કે તંત્ર સામે નહીં માત્ર ટ્રસ્ટ સામે જ છે. રાજકોટ શહેરની અસ્મિતા સમાન વિરાણી વિવિધલક્ષી વિદ્યાલયની મેદાનની જમીન વર્ષ 2019માં વર્તમાન ટ્રસ્ટીઓ દ્વારા વેચી નાખવા પેરવી કરતા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડો.પુરુષોત્તમ પીપરિયા દ્વારા કાનૂની લડત આપવામાં આવતા આ લડતમાં જિલ્લા કલેક્ટર તંત્ર પણ પક્ષકાર બન્યું હતું અને બાદમાં ટ્રસ્ટની જમીનના સત્તાપ્રકારમાં થયેલ ફેરફાર ફરી મૂળ રૂપમાં લાવવવા આવ્યા છે. જોકે આમ છતાં અહીં લાંબા સમયથી ખેલાડીઓ અને વિદ્યાર્થીઓને રમવા માટેના મેદાનમાં બોક્સ ક્રિકેટ, રાત્રિ બજાર જેવી વાણિજ્ય પ્રવૃત્તિ ચાલુ રહેતા ડો.પુરુષોત્તમ પીપરિયા વિરાણી મેદાન બચાવો સમિતિ બનાવી શનિવારે રાષ્ટ્રીય શાળા ખાતે મહાસંમેલન યોજતા આ લડતમાં પૂર્વ વિદ્યાર્થી એવા પૂર્વ કલેક્ટર કે.બી.ઉપાધ્યાય, કેળવણીકાર જતિન ભરાડ સહિતના અનેક પૂર્વ છાત્રો સહિત 150 જેટલા લોકો જોડાયા હતા.
મહાપાલિકા પ્રશાસનએ આપી માહિતી:મુંબઈમાં એક પણ મતદાન કેન્દ્ર અતિસંવેદનશીલ નથી:
વિધાનસભા ચૂંટણીની સરખામણીએ આ વખતે વધુ 190 મતદાન કેન્દ્ર ઊભા કરવામાં આવશે. ગીચ લોકવસતિ હોવા છતાં મુંબઈમાં એક પણ મતદાન કેન્દ્ર અતિસંવેદનશીલ ન હોવાની માહિતી મહાપાલિકા પ્રશાસને આપી હતી. મતદાનની ટકાવારી વધારવાના ઉદ્દેશથી ખાનગી સોસાયટીઓમાં વધુ મતદાન કેન્દ્ર ઊભા કરવામાં આવશે. શહેરમાં લગભગ 700 ખાનગી સોસાયટીઓમાં નાગરિકોને ઘર નજીક મતદાન કેન્દ્ર સ્થાપવામાં આવશે. મુંબઈ મહાપાલિકાની ચૂંટણી 15 જાન્યુઆરીના થવાની છે. ચૂંટણીને ધ્યાનમાં લેતા પ્રશાસને તૈયારીઓ ઝડપી બનાવી છે. મતદારો મતદાન કેન્દ્ર સુધી સહેલાઈથી પહોંચી શકે એ માટે વિવિધ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. મતદારો માટે મતદાન કેન્દ્ર વધુ નજીક હોય એ માટે વિધાનસભા ચૂંટણીની સરખામણીએ વધુ 190 મતદાન કેન્દ્ર ઊભા કરવામાં આવશે. 2024માં થયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન મુંબઈમાં કુલ 10 હજાર 110 મતદાન કેન્દ્ર હતા. આગામી મહાપાલિકા ચૂંટણી માટે આ સંખ્યા વધારીને લગભગ 10 હજાર 300 કરવામાં આવી છે. આમ 190 મતદાન કેન્દ્રોનો ઉમેરો થશે એવી માહિતી અતિરિક્ત આયુક્ત અશ્વિની જોશીએ આપી છે. મુંબઈમાં એક પણ મતદાન કેન્દ્ર અતિસંવેદનશીલ નથી. કેટલાક મતદાન કેન્દ્ર સંવેદનશીલ તરીકે વર્ગીકરણ કરવામાં આવ્યા છે. જે ઠેકાણે 10 કરતા વધુ મતદાન બૂથ છે ત્યાં મતદારોની સંખ્યા વધુ હોવાથી ગિરદી થવાની શક્યતા હોય છે. તેથી આવા ઠેકાણાનો સંવેદનશીલની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યાનું જોશીએ સ્પષ્ટ કર્યું હતું.
સરતા વર્ષને વિદાય અને નવા વર્ષનું સ્વાગત કરવા મુંબઈ સહિત જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. એ ધ્યાનમાં લેતા નાગરિકોને સ્વચ્છ, સુરક્ષિત અને શુદ્ધ ખાદ્યપદાર્થો મળી રહે એ માટે અન્ન અને ઔષધ પ્રશાસને કમર કસી છે. રાજ્યની હોટેલ્સ, રેસ્ટોરંટ્સ અને ખાદ્યપદાર્થોનું વેચાણ કરતા આસ્થાપનાઓની પ્રશાસન તરફથી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. એના લીધે નવા વર્ષ નિમિત્તે ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારાઓ પર અંકુશ આવશે. નવા વર્ષ નિમિત્તે આયોજિત વિવિધ પાર્ટીઓ અને કાર્યક્રમોમાં મોટા પ્રમાણમાં ખાદ્યપદાર્થો પીરસાય છે. ખાદ્યપદાર્થોની માગમાં મોટા પ્રમાણમાં વધારો થાય છે. તેથી એમાં ભેળસેળ થવાની શક્યતા ઘણી વધારે હોય છે. તેમ જ હોટેલ્સ અને રેસ્ટોરંટ્સમાં મુદત પૂરી થયેલ કાચો માલ, ખાદ્ય અને અખાદ્ય રંગનો ઉપયોગ થાય છે. તેથી નાગરિકોને ભેળસેળવાળા ખાદ્યપદાર્થો મળવાની શક્યતા વધારો હોય છે. આ બાબત ધ્યાનમાં લઈને ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારા વિરુદ્ધ એફડીએએ તપાસ ઝુંબેશ અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. આ ઝુંબેશ અંતર્ગત અન્ન સુરક્ષા અધિકારીઓ તેમના કાર્યક્ષેત્રની રેસ્ટોરંટ્સ, હોટેલ્સ, અને ખાદ્ય આસ્થાપનાઓની ઊંડાણપૂર્વક તપાસ કરશે. આ તપાસ દરમિયાન મુદત પૂરી થયેલા કાચા માલનો વપરાશ, અન્નપદાર્થોમાં ખાદ્ય અને અખાદ્ય રંગનો ઉપયોગ તેમ જ સ્વચ્છતાના ધોરણનું પાલન થાય છે કે નહીં એની ચુસ્તતાથી તપાસ કરવામાં આવશે. એમાં દોષી જણાયેલા વિરુદ્ધ કઠોર કાર્યવાહી કરવામાં આવશે. આ ઝુંબેશ અંતર્ગત નાગરિકોના આરોગ્યની દષ્ટિએ હોટેલ્સ, રેસ્ટોરંટ્સમાં સ્વચ્છતાને વિશેષ મહત્વ આપવામાં આવશે. હોટેલ સ્વચ્છતાનો સંકલ્પએફડીએએ સ્વાગત નવા વર્ષનું, સંકલ્પ હોટેલ સ્વચ્છતાનો નામથી વિશેષ ઉપક્રમ હાથમાં લીધો છે. આ ઉપક્રમ 26 ડિસેમ્બરથી 15 જાન્યુઆરીના સમયગાળા સુધી રાજ્યમાં અમલમાં રહેશે. આ કાર્યક્રમ અંતર્ગત ઉત્તમ સ્વચ્છતા અને અન્નસુરક્ષા રેટિંગનું પાલન કરનાર હોટેલ આસ્થાપનાને પ્રોત્સાહન આપવા જિલ્લા અને રાજ્ય સ્તરે ઉત્કૃષ્ટ હોટેલ્સને પુરસ્કાર આપવામાં આવશે. પ્રજાસત્તાક દિનનું ઔચિત્ય સાધીને 26 જાન્યુઆરી 2026ના જિલ્લા સ્તરના પુરસ્કાર સંબંધિત જિલ્લાના પાલકમંત્રીના હસ્તે તથા રાજ્ય સ્તરના પુરસ્કાર ઉત્તમ હોટેલ્સનું સન્માન મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.
ખુલ્લેઆમ થાય છે ભેળસેળયુક્ત દૂધનો સપ્લાય:અંધેરી કપાસવાડીમાં દૂધમાં ભેળસેળ કરવાનું મોટું કૌભાંડ
અંધેરી પશ્ચિમમાં કપાસવાડીમાં દૂધમાં ભેળસેળ થતી હોવાની ગંભીર બાબત સામે આવી છે. સ્થાનિક રહેવાસીઓનો દાવો છે કે, અહીં ખુલ્લેઆમ ભેળસેળયુક્ત દૂધનો સપ્લાય ચાલી રહ્યો છે, જેનાથી જાહેર આરોગ્ય ખાસ કરીને બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે મોટો ખતરો ઊભો થયો છે. સોશિયલ મિડિયા પર વાઈરલ વિડિયોમાં દૂધ ભેળસેળ રેકેટનો પર્દાફાશ થતો હોવાનું દેખાય છે. વિડિયોમાં દૂધનાં પેકેટોથી ભરેલો એક ઓરડો જોવા મળે છે. એક વ્યક્તિ કઠણ પ્લાસ્ટિકનો ડંડો લઈને એક ઘરમાં પ્રવેશ કરે છે, જ્યાં એક પુરુષ અને એક સ્ત્રી હાજર હોવાનું દેખાય છે. વિડિયોમાં માલ બનાવ જેવી વાતચીત સંભળાય છે અને અંતે અગ્નિ પ્રગટાવી ભેળસેળ કરવાની રીત દર્શાવાતી હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. નેટિઝન્સનો દાવો છે કે આ રેકેટ દાયકાઓથી સક્રિય છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ડિટર્જન્ટ પાઉડર, યુરિયા, સાબુનું દ્રાવણ, તેલ અને અન્ય રસાયણો ભેળવી કૃત્રિમ દૂધ તૈયાર કરવામાં આવે છે. એક લિટર મૂળ દૂધમાં પાણી અને રસાયણો ઉમેરીને લગભગ બમણું પ્રમાણ બનાવવામાં આવે છે અને તે ફરીથી નવા પાઉચમાં પેક કરી નજીકના વિસ્તારોમાં વિતરણ થાય છે.આ મામલાએ સ્થાનિક સરકારી તંત્રની દેખરેખ પર પ્રશ્નો ઊભા કર્યા છે.
વસઈ વિરારની રાજનીતિમાં ઊથલપાથલ:વસઈ -વિરારમાં અજિત પવારની પાર્ટી સ્વબળે લડશે
મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિની અંદર શરૂ થયેલા તણાવને પગલે રાજકારણમાં મોટો ધડાકો થયો હોવાનું ચિત્ર છે. અજિત પવાર જૂથની રાષ્ટ્રવાદી કોંગ્રેસે ભાજપ પર ગંભીર આરોપો લગાવતાં આક્રમક ભૂમિકા લીધી છે. વસઈ વિરાર જિલ્લા અધ્યક્ષ રાજારામ મુળીકે કહ્યું કે, ભાજપે અમારી પીઠમાં ખંજર ભોંક્યું છે એવો ખળભળાટ મચાવતો આરોપ કર્યો છે. મહાયુતિની વસઈ– વિરાર મહાપાલિકાની આવનારી ચૂંટણીના પગલે રાજકીય વાતાવરણ તંગ છે. ખાસ કરીને ચૂંટણી જાહેર થયા બાદ મહાયુતિ એકત્ર લડશે એવી ચર્ચા શરૂ હતી. તે અંતર્ગત અનેક બેઠકો યોજાઈ હતી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસે યુતિધર્મ પાળીને ચર્ચાઓમાં સક્રિય ભાગ લીધો હતો. જોકે, વાસ્તવિક જગ્યા વહેંચણીના તબક્કે ભાજપ તરફથી એક પણ બેઠક ન મળતાં રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં ભારે અસંતોષ ફેલાયો. મુળીકે કહ્યું કે, જે પક્ષ પોતાના સાથીદારો સાથે પ્રામાણિક નથી, તે મતદારો સાથે પણ ક્યારેય ઈમાનદાર રહી નહીં શકે. યુતિ ફક્ત કાગળ પર રહી ગઈ, અને અમને જાણીબૂજીને દૂર રાખવામાં આવ્યા એવો દાવો તેમણે કર્યો. આ પરિસ્થિતિમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસે સ્વબળ પર ચૂંટણી લડવાનો સ્પષ્ટ નિર્ણય જાહેર કર્યો છે, જેના કારણે વસઈ- વિરાર મહાપાલિકાની રાજનીતિમાં ઊથલપાથલ મચી ગઈ છે.
પાલિકા ચૂંટણી:શૌચાલય ઉપયોગ પ્રમાણપત્ર વગર ઉમેદવારી રદ થશે
મુંબઈ મહાપાલિકાની સામાન્ય ચૂંટણી 2025–26 માટે રાજ્ય ચૂંટણી પંચે કડક શરતો લાગુ કરતાં ઉમેદવારોને સ્પષ્ટ ચેતવણી આપી છે. હવે ઉમેદવારી પત્ર સાથે શૌચાલય ઉપયોગ પ્રમાણપત્ર અથવા સ્વ-પ્રમાણપત્ર જોડવું ફરજિયાત રહેશે. આ દસ્તાવેજ રજૂ કરવામાં નિષ્ફળતા પર રિટર્નિંગ અધિકારી (આરઓ) ઉમેદવારી પત્રને તત્કાળ અમાન્ય ઠરાવશે. રાજ્ય ચૂંટણી પંચ, મહારાષ્ટ્રએ સ્પષ્ટ કર્યું છે કે, આ નિયમ માત્ર દસ્તાવેજી કાર્યવાહી નથી, પરંતુ સ્વચ્છતા અંગેની જવાબદારી નિશ્ચિત કરવાની કડક વ્યવસ્થા છે. કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત અભિયાનના અનુસંધાને 7 મે 2016ના મહારાષ્ટ્ર અધિનિયમ નં. 19 ઓફ 2016માં સુધારો કરીને શરત ઉમેરવામાં આવી હતી કે જે ઉમેદવાર નિયમિત શૌચાલય ઉપયોગનું પ્રમાણપત્ર રજૂ નહીં કરે, તે ચૂંટણી લડવા અયોગ્ય ગણાશે. આ નિયમ અગાઉ પણ લાગુ થયો હતો અને હવે ફરી કડક અમલમાં મુકાયો છે. ચૂંટણી લડનાર ઉમેદવાર પોતાના ઘરમાં શૌચાલય ધરાવતા હોય કે, ભાડાના મકાનમાં રહેતા હોય બંને સ્થિતિમાં પ્રમાણપત્ર ફરજિયાત છે. જો ઘરમાં શૌચાલય ઉપલબ્ધ ન હોય, તો સામુદાયિક શૌચાલયનો ઉપયોગ થાય છે, એવો સ્પષ્ટ ઉલ્લેખ કરવો પડશે. કોઈ પણ પ્રકારની છૂટ માન્ય નહીં રહેશે. આ મુદ્દે મુંબઈ મહાપાલિકાના મુખ્યાલય ખાતે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે 22 ડિસેમ્બર, 2025ના બેઠક યોજાઈ હતી. બેઠકમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું કે નિયમોનું ઉલ્લંઘન કરનાર ઉમેદવારો સામે સહાયક કમિશનર અથવા વોર્ડ અધિકારી કાર્યવાહી કરશે. જોકે, મહાપાલિકા વહીવટી તંત્રે એક વાત સ્પષ્ટ કરી છે, શૌચાલય અથવા વ્યક્તિના ફોટોગ્રાફ લેવાની જરૂર નથી. ઉમેદવારી ફોર્મ ભરવા જતા એક ઉમેદવારના જણાવ્યા અનુસાર ચૂ઼ંટણી કામગીરી કરતા સરકારી અધિકારીઓ નોમિનેશન ફોર્મની સાથે જો શૌચાલયનો ઉપયોગ કરતા હોય તો તેમના ઘરના શૌચાલયનો જીપીએસ ફોટો જોડવાનો આગ્રહ કરી રહ્યા હોવાનો ચોંકાવનારો દાવો કેડીએમસીમાં ઉમેદવારી ફોર્મ ભરવા જતા રાજન ગાલાએ જણાવ્યું હતું.
હિન્દી ભાષી સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારાશે:પરપ્રાંતિયોને આકર્ષવા માટે ભાજપની રણનીતિ
મુંબઈ મહાપાલિકા જીતવા માટે ભાજપે ઉત્તર ભારતીયોના દિલ જીતવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે. આ માટે ભાજપે ચૂંટણીના પ્રચારમાં હિન્દી ભાષી સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. આમાં ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ, ધારાસભ્ય અને ગાયિકા મૈથિલી ઠાકુર, મનોજ તિવારી અને અન્ય ઘણા લોકોનો સમાવેશ થાય છે.શાસક મહાયુતિનો બેઠક વહેંચણીનો વિવાદ હવે લગભગ સમાપ્ત થઈ ગયો છે. ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના આ ચૂંટણી સાથે મળીને લડશે. શાસક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી આ ચૂંટણીઓનો સામનો સ્વબળે કરશે. ભાજપ આ ચૂંટણી જીતવા માટે આકાશપાતાળ એક કરી રહી છે. આ માટે, ભગવા પક્ષ વિવિધ રણનીતિઓ બનાવી રહી છે. આમાં ઉત્તર ભારતીય મતદારોને પાર્ટી તરફ આકર્ષવા માટે પોતાના વિસ્તારોમાંથી સ્ટાર પ્રચારકોને પ્રચાર માટે આમંત્રિત કરવાની રણનીતિનો પણ સમાવેશ થાય છે.
કરુણાંતિકા સર્જાઈ:કોંકણના સમુદ્રમાં પવઈના એક જ પરિવારના 3 ડૂબ્યા
નવું વર્ષ 2025ને વિદાય આપવા અને નાતાલના તહેવારોની ઉજવણી માટે કોંકણમાં પર્યટકોની ભારે ભીડ હાલમાં જોવા મળી રહી છે. રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારોમાં પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે, પરંતુ આ ઉત્સાહી માહોલ વચ્ચે રત્નાગિરિ જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મુંબઈના પવઈના એક પરિવારને કોંકણના પ્રવાસે જવું દુ:ખદ બની ગયું છે. રત્નાગિરિ જિલ્લાના ગુહાગર બીચ પર દરિયામાં નહાવા પડેલા મુંબઈથી આવેલા એક પરિવાર પર દુર્ઘટના આવી પડી. આ દુર્ઘટનામાં એક વ્યકતિના મોતથી પર્યટકોમાં ગમગીનીનો માહોલ છે. પવઈથી ગુહાગર ફરવા આવેલા એક જ પરિવારના ત્રણ સભ્યો દરિયામાં ડૂબ્યા હતા. તેમને પાણીના ઊંડાણનો અંદાજ ન આવતાં આ ઘટના બની હતી, પરંતુ સ્થાનિક લોકોની સતર્કતાના કારણે પત્ની અને 14 વર્ષના પુત્રને બચાવી લેવામાં આવ્યા, પરંતુ 42 વર્ષીય અમોલ મુથ્યાનો જીવ બચી શક્યો નહીં.
સિટી એન્કર:મુંબઈના કાલાઘોડા પરિસરની કાયાપલટ કરાશે, સુશોભીકરણ પ્રકલ્પ અંતિમ તબક્કામાં પહોંચ્યો
મ્યુઝિયમ, આર્ટ ગેલેરી અને ઐતિહાસિક વારસાવાળી ઈમારતોવાળા કાલાઘોડા પરિસરમાં હંમેશા દેશવિદેશના પર્યટકોની અવરજવર રહે છે. તેથી મુંબઈ મહાપાલિકાએ કાલાઘોડા પરિસરમાં સુશોભીકરણ પ્રકલ્પ હાથમાં લીધો છે. ડો.વી.બી. ગાંધી રોડ, રુદરફોર્ડ રોડ અને બી. ભરુચા રોડ પર સુશોભીકરણના કામ અંતિમ તબક્કામાં છે. આ કામ પૂરું થયા બાદ આ પરિસર મુંબઈગરા, દેશવિદેશના પર્યટકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. મુંબઈ મહાપાલિકા કમિશનર અને પ્રશાસક ભૂષણ ગગરાણી તથા ભૂતપૂર્વ મુખ્ય સચિવ અને મહારાષ્ટ્ર રાજ્ય નાણા પંચના અધ્યક્ષ નિતીન કરીરે કામનું નિરીક્ષણ કરીને કયાસ કાઢ્યો હતો. દક્ષિણ મુંબઈનો ઐતિહાસિક વારસો અને પુરાતન સ્થાપત્યોવાળા પરિસર તરીકે કાલાઘોડા પરિસરની ઓળખ છે. નાગરિકો, પર્યટકોની અહીં હંમેશા ગિરદી રહે છે. કાલાઘોડા સાંસ્કૃતિક દષ્ટિએ સમૃદ્ધ અને કલાત્મક દષ્ટિએ જોવા જેવો પરિસર છે. અહીં મ્યુઝિયમ, આર્ટ ગેલેરી અને ઐતિહાસિક વારસાવાળી ઈમારતો છે. દર વર્ષે ભરાતા કાલાઘોડા આર્ટ ફેસ્ટિવલ આ પરિસરની સાંસ્કૃતિક ઓળખ છે. આ પરિસર યુનેસ્કોના વિકટોરિયન ગોથિક એન્ડ આર્ટ ડેકો એસમ્બલ ઓફ મુંબઈ જેવા વૈશ્વિક વારસા સ્થળની બાજુમાં જ હોવાથી મુંબઈગરા અને પર્યટકો હેરિટેજ વોકનો આનંદ માણી શકે એ ઉદ્દેશથી મુંબઈ મહાપાલિકાએ કાલાઘોડા પરિસરના સાઈબાબા રોડ, રોપ વોક લેન, ડો. વી.બી. ગાંધી રોડ (ફોર્બ્સ સ્ટ્રીટ) અને બી. ભરુચા રોડ એમ પાંચ રસ્તાઓના સુશોભીકરણનો પ્રકલ્પ હાથમાં લીધો છે. એના માટે પહેલા તબક્કામાં કુલ 3 હજાર 443 સ્કવેર મીટર એરિયાનું (કુલ લંબાઈ 500 મીટર) સુશોભીકરણ કરવામાં આવી રહ્યું છે. દરેક પર્યટકની મુંબઈની મુલાકાતમાં જોવા જેવા સ્થળોમાં કાલાઘોડાનું નામ ચોક્કસ હોય છે. આ સુંદર પરિસરમાં સ્વાદિષ્ટ અને અવનવા ખાદ્યપદાર્થોની વિવિધ રેસ્ટોરંટ્સ, ભોજનાલય, હોટેલ્સ, ઘરેણા અને કપડાના કાર્યાલય છે. આ પરિસરમાં આંટો મારતા ખરીદી કરતા, સ્વાદિષ્ટ વાનગીઓનો આસ્વાદ લેતા પર્યટકોને અન્ય સુવિધાઓ પણ પૂરી પાડવા મહાપાલિકાએ સુશોભીકરણનું કામ હાથમાં લીધું છે. પરિસરમાં ભારે વાહનો પર બંધી મૂકવામાં આવશે. આ પરિસરની ચારેકોર અદ્યતન બેરિકેડ્સ ઊભા કરવામાં આવશે. પ્લાઝા તૈયાર થશેબી. ભરુચા રોડ પરના ચોકમાં પ્લાઝા બનાવવામાં આવશે. બ્લેક ગ્રેનાઈટ અને બેસાલ્ટની લાદીનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્લાઝા નજીક ટેબલ-ખુરસી પર બેસીને મુંબઈગરા, પર્યટકો આ પરિસરનો, સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લઈ શકશે. તેમ જ સંપૂર્ણ પરિસરમાં પર્યટકોને આનંદ આપતી વળાંકવાળી પગદંડી પણ તૈયાર કરવામાં આવી છે.
થર્ટીફર્સ્ટની પાર્ટીઓમાં ઘણાં ઠેકાણે ડ્રગ્સ પાર્ટીઓ ચાલે છે, જેથી ડ્રગ્સની તસ્કરી વધી છે ત્યારે પોલીસે પણ આવી પાર્ટીઓનો પર્દાફાશ કરવા માટે કમર કસી છે. આ કડીમાં મુંબઈ પોલીસના એન્ટી નાર્કોટિક્સ સેલના ટાસ્ક ફોર્સે બેન્ગલુરુમાં ત્રણ ડ્રગ્સ ફેક્ટરીઓ પકડી પાડી છે, જ્યાંથી એમડી ડ્રગ્સ (મેફેડ્રોન અથવા પાર્ટી ડ્રગ્સ તરીકે પણ ઓળખાય છે) સહિત રૂ. 55.88 કરોડનો મુદ્દામાલ હસ્તગત કર્યો છે. 21 ડિસેમ્બરે નવી મુંબઈમાં વાશી ગામમાં પુણે મુંબઈ હાઈવે નજીક જૂના બસ ડેપો ખાતેથી ટાસ્ક ફોર્સે ડ્રગ્સ તસ્કર અબ્દુલ કાદર રશીદ શેખને રૂ. 1.48 કરોડના પાર્ટી ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. શેખની ઊલટતપાસ લેતાં તેની માહિતી પરથી બેલગામમાં પાર્ટી ડ્રગ્સ બનાવતા પ્રશાંત યલપ્પા પાટીલની ધરપકડ કરવામાં આવી હતી, પ્રશાંતની ઊલટતપાસ લેવાતાં તેણે બેન્ગલુરુમાં ત્રણ ફેક્ટરીઓમાં મોટે પાયે ડ્રગ્સ બનાવવામાં આવે છે એવી માહિતી આપી હતી. આ પછી પોલીસે બેન્ગલુરુમાં દરોડા પાડીને રાજસ્થાનમાં રહેતા પરંતુ બેન્ગલુરુમાં ડ્રગ્સ ફેક્ટરી ચલાવતા સરજ રમેશ યાદવ અને મલખાન રામલાલ બિશ્નોઈની ધરપકડ કરી હતી. આ બંનેની માહિતી પરથી બેન્ગલુરુ શહેરમાં સ્પંદના લેઆઉટ કોલોની, એનજી ગોલાહલી વિસ્તારમાં આર જે ઈવેન્ટ નામે ફેક્ટરી અને યેરપનાહળી કન્નુર ખાતે લોકવસતિમાં આરસીસી ઘરમાં એમડી ડ્રગ્સ તૈયાર કરવાની ફેક્ટરીનું ઠેકાણું બતાવ્યું હતું. આ સ્થળો ખાતેથી ત્રણ ફેક્ટરીઓ પર દરોડા પાડીને 4 કિલો એમડી, દ્રવ્ય સ્વરૂપમાં 17 કિલો એમડી એમ 21.400 કિલો એમડી, તે તૈયાર કરવાની સામગ્રી અને વિવિધ રસાયણો મળીને રૂ. 55.88 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ ત્રણેય ફેક્ટરીઓ નષ્ટ કરવામાં આવી છે. મુંબઈ એરપોર્ટ પર 15 કરોડના ડ્રગ્સ સાથે સુરતી સહિત 2 તસ્કર પકડાયા થર્ટીફર્સ્ટની પાર્ટીઓની મુંબઈ સહિતનાં શહેરોમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બે અલગ અલગ કેસમાં કસ્ટમ્સ દ્વારા બે પ્રવાસીની રૂ. 15 કરોડના ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે. આરોપીમાં 69- સુભાષ નગર-1, લલિતા ચોક, કતારગામ, સુરત શહેરના હિતેશ કાનજીભાઈ માલવિયા (35) અને નિકિતા પેલેસ, ફ્લેટ-201, હિલ એરિયા, સેકશન-17, ઉલ્હાસનગર-3 ખાતે રહેતા દીપક અનિલ મહેતા (32)ની ધરપકડ કરી છે. કસ્ટમ્સ વતી પબ્લિક પ્રોસીક્યુટર રઝિયા શેખની દલીલ પર બંને આરોપીઓને સ્થાનિક કોર્ટે કસ્ટમ્સની કસ્ટડી આપવામાં આવી છે. માલવિયા 27 ડિસેમ્બરે પરોઢિયે એર ઈન્ડિયાની ફ્લાઈટ નં. એઆઈ-2338માં બેન્ગકોકથી મુંબઈ આવ્યો હતો. શંકાને આધારે કસ્ટમ્સના અધિકારીઓ દ્વારા તેને આંતરીને તેની તલાશી લેવામાં આવી હતી.તેની ચેક-ઈન બેગમાં પારદર્શક બેગ્સ મળી આવી હતી, જેમાં 8 ડબલ પેક્ડ પ્લાસ્ટિકમં પેકેટ્સ હતા. તેમાં 7965 ગ્રામ હાઈડ્રોપોનિક વીડ (ગાંજો તરીકે પણ ઓળખવામાં આવે છે) મળી આવ્યું હતું, જેનું આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય રૂ. 7.96 કરોડ થવા જાય છે. આથી આરોપીની એનડીપીએસ ધારા 1985ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.દરમિયાન બીજા કેસમાં 27 ડિસેમ્બરે પરોઢિયે બેન્ગકોકથી મુંબઈમાં ઈન્ડિગો એરલાઈન્સ ફ્લાઈટ નં. 6ઈ1060માં આવેલા દીપક મહેતાની શંકા પરથી તલાશી લેવામાં આવી હતી. તેની પાસે ચેક-ઈન બેગેજ તરીકે એક્સપ્રેસ બ્રાન્ડની ખાખી રંગની ટ્રોલી બેગમાં 10 વેક્યુમ સીલ્ડ પારદર્શક પ્લાસ્ટિકનાં પેકેટ્સ ભરેલાં દેખાયાં હતાં. આ પેકેટ્સ ખોલતાં તેમાંથી લીલા રંગનો પદાર્થ મળી આવ્યો હતો, જેમાંથી તીવ્ર દુર્ગંધ આવતી હતી. એર ઈન્ટેલિજન્સ યુનિટની કેમ્પ ઓફિસ ખાતે લઈ જઈને એનડીપીએસ પદાર્થોના ફિલ્ડ- ટેસ્ટિંગ કિટનો ઉપયોગ કરીને તેનું પરીક્ષણ કરતાં ગાંજો/ હાઈડ્રોપોનિક વીડ હોવાનું જણાયું હતું. આ ટીમની વિશેષ કાર્યવાહીએડિશનલ આઈજી સુનીલ રામાનંદ, સ્પેશિયલ આઈજી શારદા રાઉત, ડે. આઈજી પ્રવીણકુમાર પાટીલના માર્ગદર્શનમાં એસપી એમ એમ મકાનદાર, એડિશનલ એસપી કૃષ્ણાત પિંગળે, રામચંદ્ર મોહિતે, પીઆઈ સંતોષ ગાવશેતે, નિલેશ બોધે, એપીઆઈ ઉદય કાળે, માધવાનંદ ધોત્રે, ઉમેશ ભોસલે, પીએસઆઈ સંજય આદલિંગ, સુહાસ તાવડે અને સ્ટાફ અનિલ પાસ્તે, અશોક આટોળે, મહેશ હવળી, જિતેંદ્ર ચવ્હાણ, યોગીરાજ ઈંગુળકર, અનિલ મોરે, જિતેંદ્ર તુપે, શિવાજી રાવતે, અર્જુન બંદરે, મનીષ ભોઈરે આ કામગીરી પાર પાડી હતી. લોકવસતિ વચ્ચે ડ્રગ્સની ફેક્ટરીપોલીસની નજરથી બચવા માટે કર્ણાટકના બેન્ગલુરુમાં લોકવસતિમાં ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવામાં આવતંફ હતું. ફક્ત ત્રણેય ફેક્ટરીમાં પાર્ટી ડ્રગ્સ બનાવીને દેશનાં અનેક રાજ્યોમાં પહોંચાડવામાં આવતું હતું. ખાસ વાત એ છે કે આ ધીકતો ધંધો કરીને આરોપીઓએ બેન્ગલુરુ શહેરમા મોટે પાયે મિલકતો ખરીદી હોવાનું પણ બહાર આવ્યું છે. હમણાં સુધી ચાર તસ્કરોની ધરપકડ કરાઈ છે, જ્યારે અન્ય બે જણની શોધ ચાલી રહી છે, એમ ટાસ્ક ફોર્સના અધિકારીએ શનિવારી જણાવ્યું હતું.
ભાસ્કર ફોલોઅપ:રાપર તાલુકામાં 4.6ની તીવ્રતાના ભૂકંપ બાદ 29 કલાકમાં 22 આફટરશોક અનુભવાયા
રાપર નજીક એકલના રણમાં ગુરુવારે 4:30 વાગ્યાના અરસામાં 4.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયા બાદ આગામી 29 કલાકમાં કુલ 22 આફટરશોક અનુભવાતા વાગડ વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. સિસ્મોલોજી વિભાગના આંકડા મુજબ ગુરુવારે 16 અને શુક્રવારે 5 નાના-મોટા આંચકા નોંધાયા હતા, જ્યારે એક આંચકો મુખ્ય ભૂકંપ તરીકે નોંધાયો હતો. ગુરુવારે ભૂકંપનું મુખ્ય કેન્દ્રબિંદુ રાપરથી આશરે 22 કિલોમીટર દૂર એકલના રણ વિસ્તારમાં નોંધાયું હતું, જે જમીનથી અંદાજે 5 કિલોમીટર ઊંડાણે ઉત્પન્ન થયું હતું. ખાસ કરીને વાગડ વિસ્તારમાં પોચી માટી અને નબળા પથ્થરિયાં સ્તરો હોવાને કારણે કંપનની અસર વધારે અનુભવાઈ હતી. કચ્છમાં દસથી વધુ સક્રિય ફોલ્ટ લાઇનો આવેલી છે. રાપર આસપાસનો વિસ્તાર સાઉથ વાગડ, નોર્થ વાગડ અને કચ્છ મેનલૅન્ડ ફોલ્ટથી પ્રભાવિત હોવાથી અહીં વારંવાર નાના-મોટા ભૂકંપ નોંધાતા રહે છે. આફટરશોક સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ તેની સંખ્યા અને તીવ્રતા પર સતત નજર રાખવી જરૂરી છે. નોર્થ વાગડ ફોલ્ટ સક્રિય થતા સતર્ક રહેવાની ચેતવણીકચ્છ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના નિષ્ણાંત પ્રોફેસરના ગૌરવ ચોહાણે જણાવ્યું હતું કે ગત 26 ડિસેમ્બરના રોજ વહેલી સવારે 4:30 વાગ્યે નોર્થ વાગડ ફોલ્ટ લાઈન પર 4.6 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂકંપ બાદ 27 ડિસેમ્બર સવાર સુધીમાં કુલ ૨૨ જેટલા આફ્ટર શોક્સ નોંધાયા છે. આ નાના આંચકાઓને કારણે જમીનની અંદર સંગ્રહાયેલી ઉર્જા બહાર નીકળી રહી છે, જે કોઈ મોટા ભૂકંપની શક્યતાને ટાળી શકે છે. જો કે, આ વર્ષના અંતમાં નોર્થ વાગડ ફોલ્ટની સાથે ક્થ્રોલ હિલ અને ગોરા ડુંગર જેવી અન્ય ફોલ્ટ લાઈનોમાં પણ હિલચાલ જોવા મળી છે, જે દર્શાવે છે કે કચ્છની તમામ મુખ્ય ફોલ્ટ લાઈનો સક્રિય છે, ત્યારે સરકાર અને જનતાને ભૂકંપ સાથે જીવતા શીખવા, મોક ડ્રીલ અને ટ્રેનિંગ દ્વારા સતર્ક રહેવા અપીલ કરી છે. ભૂકંપ અંગે શાળા-કોલેજોમાં માર્ગદર્શન અનિવાર્યશૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને આ અંગે માર્ગદર્શન આપવું એ માત્ર જરૂરિયાત નહીં પણ અનિવાર્યતા બની ગઈ છે. નિષ્ણાંતોના મતે, જો નાનપણથી જ બાળકોને ભૂકંપ અંગે માર્ગદર્શન આપવામાં આવે તો તેના અનેક દૂરોગામી ફાયદા થઈ શકે છે. ભૂકંપ એક એવી ઘટના છે જે અચાનક બને છે. જો વિદ્યાર્થીઓને તેના વિશે અગાઉથી વૈજ્ઞાનિક માહિતી હોય, તો તેઓ ગભરાવાને બદલે શાંત રહી શકે છે. શૈક્ષણિક સ્તરે આ વિષયનો સમાવેશ કરવાથી વિદ્યાર્થીઓમાં ‘ભય’ ઓછો થાય છે અને ‘જાગૃતિ’ વધે છે. કટોકટીના સમયે કઈ રીતે બહાર નીકળવું અને કઈ જગ્યાએ આશરો લેવો તેનું પ્રાયોગિક જ્ઞાન હોનારત સમયે જાનહાનિ ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. વિદ્યાર્થીઓ શાળામાં મળેલું શિક્ષણ તેઓ પોતાના પરિવાર અને પડોશીઓ સુધી પહોંચાડે છે, જેનાથી આખું ગામ કે શહેર આપત્તિ સામે સજ્જ બને છે. આવનારા મહિનામાં 2001ના વિનાશક ભૂકંપને 25 વર્ષ પૂર્ણ થશે. આ પ્રસંગે આપણે એ ભૂકંપને એક ચેતવણી અને શિક્ષા તરીકે લેવી જોઈએ અને ભૂકંપ સાથે સલામતીપૂર્વક જીવતા શીખવાની તૈયારીઓ હવે શરૂ કરવી જરૂરી બની ગઈ છે.
નવા વર્ષ નિમિત્તે મુંબઈમાં ઠેર ઠેર પાર્ટીઓનું આયોજન કરવામાં આવશે. આ સમયે કોઈ અનિચ્છનીય ઘટના ટાળવા માટે ફાયર બ્રિગેડ દ્વારા વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આના ભાગરૂપે વિભાગ દ્વારા મુંબઈની હોટેલો, રેસ્ટોરાં, પબ, બાર સહિતની સ્થાપનાઓની કડક તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને આ આસ્થાપનાઓમાં અગ્નિસુરક્ષાના નિયમોનું બરોબર પાલન થઈ રહ્યું છે કે નહીં તે જોવા માટે આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે પાડેલા દરોડામાં અનેક આસ્થાપનાઓ દ્વારા તેમની સંકુલમાં અગ્નિસુરક્ષા નિયમોની ઐસીતૈસી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. 22થી 25 ડિસેમ્બર વચ્ચે વિભાગ દ્વારા 907 આસ્થાપનાઓ પર અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા. ખાસ કરીને આ આસ્થાપનાઓમાં અગ્નિસુરક્ષા નિયમોનું આપૂર્તિ થઈ છે કે નહીં તેની કડક તપાસ કરવામાં આવી હતી. તેમાં નિયમોની ઐસીતૈસી કરનારી 41 આસ્થાપનાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે 16 આસ્થાપનાઓને નોટિસ ફટકારવામાં આવી છે. નવા વર્ષનું સ્વાગત કરવા માટે મુંબઈની વિવિધ હોટેલ્સ, પબ, બાર, હાઉસિંગ કોમ્પ્લેક્સ અને ઈમારતો, સમુદ્રકિનારા વગેરે ઠેકાણે વિવિધ કાર્યક્રમ અને સ્વાગત સમારંભનું આયોજન કરવામાં આવે છે. આ માટે નાગરિકો મોટી સંખ્યામાં એકત્ર આવે છે. આ ધ્યાનમાં લેતાં અગ્નિસુરક્ષા બાબતે વધુ સાવધાની લેવા માટે મહાપાલિકા કમિશનર અને પ્રશાસક ભૂષણ ગગરાણીના નિર્દેશ અનુસાર એશનલ મહાપાલિકા કમિશનર (શહેર) ડો. અશ્વિની જોશીના માર્ગદર્શનમાં વિશેષ અગ્નિસુરક્ષા ઝુંબેશ હાથ ધરવામા આવી હતી. અશ્વિની જોશીએ જણાવ્યું કે મહાપાલિકાના મુંબઈ ફાયર બ્રિગેડ તરફથી અમલ કરાયેલી આ ઝુંબેશમાં અનેક આસ્થાપનાઓમાં અગ્નિસુરક્ષાના નિયમો અને શરતોનું પાલન નહીં કરાયું હોવાનું જણાયું છે. તેમની વિરુદ્ધ મહારાષ્ટ્ર આગ પ્રતિબંધક અને જીવ સંરક્ષક ઉપાયયોજના ધારા 2006ની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરવામાં આવી છે. આ અંતર્ગત 10 મોલ, 25 ફાઈવસ્ટાર હોટેલ, 59 લોજિંગ- બોર્ડિંગ, 19 રૂફટોપ, 147 પબ, બાર, ક્લબ, 12 પાર્ટી હોલ, 5 જિમખાના, 628 રેસ્ટોરાં વગેરે મળીને 907 આસ્થાપનાઓની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી શરતો અને નિયમોનું ઉલ્લંઘન કરનારી 41 આસ્થાપનાઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યારે 16 આસ્થાપનોને નોટિસ ફટકારવામાં આવી હતી. નિયમિત તપાસ ચાલુ રહેશેદરમિયાન 28 ડિસેમ્બર સુધી આ વિશેષ અગ્નિસુરક્ષા ઝુંબેશ અંતર્ગત વિવિધ આસ્થાપનાઓની તપાસ ચાલુ રહેશે. તે પછી પણ મુંબઈ અગ્નિશમન વિભાગ વતી નિયમિત રીતે કાર્યવાહી કરવામાં આવશે. નવા વર્ષની પાર્શ્વભૂમિમાં વિવિધ આસ્થાપનાઓએ અગ્નિસુરક્ષા બાબતે જરૂરી સર્વ ઉપાયયોજના કરવી. નાગરિકોએ પણ સતર્ક રહેવું, એવો અનુરોધ અશ્વિની જોશીએ કર્યો છે.
ગુજરાત સહિત 12 રાજ્યમાં નવેમ્બર-ડિસેમ્બર માસમાં હાથ ધરવામાં આવેલ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કાર્યવાહી દરમિયાન રાજકોટ જિલ્લામાં નોંધાયેલ કુલ 23.91 લાખ મતદાર પૈકી 2.25 લાખ જેટલા મતદાર વર્ષ 2002ની તુલનાએ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી શક્યા ન હોવાથી આવા મતદારોને અનમેપ કેટેગરીમાં નવી સુધારેલી મતદારયાદીમાં સમાવી લેવામાં આવ્યા બાદ શનિ-રવિ દરમિયાન તમામ મતદાન મથકોએ આવા અનમેપ મતદારોને વધુ એક તક આપી પુરાવા રજૂ કરવા મેગા કલેક્શન કેમ્પ યોજવામાં આવતા જિલ્લાની આઠ વિધાનસભા બેઠકમાં એક જ દિવસમાં શનિવારે 11731 મતદારે પોતાના ઓળખના પુરાવા રજૂ કર્યા હતા. રાજકોટ જિલ્લામાં SIR અંતર્ગત મતદારયાદીની ઘનિષ્ઠ સુધારણા દરમિયાન તા.4 નવેમ્બરથી ઘેર-ઘરે ફોર્મ વિતરણ શરૂ કરી જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા 23.91 લાખ મતદાર પાસે એન્યુમરેશન ફોર્મ ભરાવ્યા હતા જેમાં 2.25 જેટલા મતદાર પોતાની ઓળખ પ્રસ્થાપિત થાય તેવા વર્ષ 2002ની તુલનાએ પુરાવા રજૂ ન કરી શકતા મેપિંગ નહીં થયેલા આવા તમામ મતદારોના નામ નવી મતદારયાદીમાં અનમેપ યાદીમાં રાખવામાં આવ્યા છે. જેમાં ચૂંટણી પંચની સૂચના અન્વયે તા.27 અને 28 ડિસેમ્બર અને તા.3 અને 4 જાન્યુઆરી ચાર દિવસ દરમિયાન તમામ મતદાન મથકો ખાતે મેગા કલેક્શન કેમ્પ યોજવામાં આવતા કેમ્પના પ્રથમ દિવસે જ 7945 વાંધા સૂચન રજૂ કર્યા હતા.11731 મતદારે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરતા પુરાવા રજૂ કર્યા હતા. મેગા કલેક્શન કેમ્પમાં પુરાવા રજૂ કરનાર મતદાર
અડાજણ મધુવન સર્કલ પાસે બેફામ આવેલા પાલિકાની કચરાના ડમ્પરે કચડી નાંખતા વેસુના યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બીજા બનાવમાં બરોડા પ્રિસ્ટેજ પાસે ટેમ્પોએ અડફેટે લેતા ઉતરાણના રત્નકલાકારનું મોત થયું હતું. વેસુ સુમન સાગર ખાતે રહેતા 35 વર્ષીય અજીતસિંગ ઉમાશંકર સિંગ એસી રીપેરીંગનું કામકાજ કરતા હતા. શનિવારે રાત્રે તેઓ મોપેડ લઈ અડાજણ મધુવન સર્કલ પાસેથી પસાર થતા હતા. ત્યારે બેફામ આવેલા પાલિકાના કચરાના ટ્રકના ચાલકે તેમને અડફેટમાં લઈ લીધા હતા અને મોપેડ પર ડમ્પર ચડાવી દીધુ હતું. ટ્રક નીચે કચડાઈ જતા અજીતસિંહનું ઘટના સ્થળે જ અરેરાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા અડાજણ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ સંદર્ભે પોલીસે ટ્રકના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતના બીજા બનાવમાં ભાવનગરના પાલીતાણાના વતની અને ઉતરાણ સિલ્વરગ્રીન રેસીડેન્સીમાં રહેતા 42 વર્ષીય હસમુખભાઈ છગનભાઈ ઘોરી હીરાની ઓફીસમાં નોકરી કરતા હતા. શુક્રવારે રાત્રે તેઓ નોકરી પરથી ઘરે જવા માટે બાઈક લઈ નીકળ્યા હતા. દરમ્યાન બરોડા પ્રિસ્ટેજ પાસે પુરપાટ ઝડપે પસાર થતા એક ટેમ્પો ચાલકે તેમને અડફેટમાં લઈ લીધા હતા. જેથી તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. અડાજણના મધુવન સર્કલ પાસે બેફામ આવેલા પાલિકાના કચરાના ડમ્પરે વેસુના 35 વર્ષીય યુવકને કચડી નાખતા મોત થયું હતુ
ભાસ્કર એનાલિસીસ:ગામડાઓના વિકાસનો નવો અધ્યાય થશે શરૂ, તાલુકા પંચાયતોની મુદ્દત 17 માર્ચના થશે પૂર્ણ
કચ્છ જિલ્લાની 10 તાલુકા પંચાયતોના પાંચ વર્ષના શાસનની મુદત આગામી 17 માર્ચ 2026 ના પૂર્ણ થઈ રહી છે. લોકશાહીની આ સ્થાનિક સરકારોની ટર્મ પૂરી થવાને હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે સમગ્ર જિલ્લામાં શિયાળામાં રાજકીય ગરમાવો ધીમે ધીમે તેજ બની રહ્યો છે. મુદત પૂરી થાય તે પૂર્વે તમામ તાલુકા પંચાયતોમાં અંતિમ સામાન્ય સભાઓનું આયોજન કરી વર્ષ 2026-2027 માટેના અંદાજપત્ર (બજેટ) રજૂ કરવામાં આવી રહ્યા છે. આ બજેટમાં ગ્રામીણ વિકાસને કેન્દ્રમાં રાખીને કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણીનો દોર શરૂ થવા જઈ રહ્યો છે. તાલુકા પંચાયતો દ્વારા પસાર કરવામાં આવેલા આ બજેટને હવે જિલ્લા પંચાયતમાં મોકલવામાં આવશે. જિલ્લા પંચાયત સ્તરે આ બજેટનું ઝીણવટભર્યું અવલોકન કર્યા બાદ તેને અંતિમ મંજૂરી આપવામાં આવશે. આ પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ચૂંટણીની આચારસંહિતા લાગુ પડે તે પૂર્વે તમામ વિકાસકામોને વહીવટી મંજૂરી મળી જાય અને વિકાસની ગતિ અટકે નહીં. આ વખતની સામાન્ય સભાઓમાં રજૂ થયેલા બજેટમાં મુખ્યત્વે ગામડાઓની પાયાની સુવિધાઓ પર ભાર મુકવામાં આવી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પીવાનું પાણી, રોડ, ગટર, રોડ લાઈટ, સીસીટીવી કેમેરા લાગવાના કામનો પ્રાધાન્ય આપવામાં આવશે. સાથે જ આંગણવાડીઓ અને પ્રાથમિક શાળાઓના રીપેરીંગ તેમજ ગ્રામ્ય આરોગ્ય કેન્દ્રોમાં સુવિધાઓ વધારવા પર ભાર મુકવામાં આવશે. તેમજ ગટર લાઈન અને સીસી રોડ (પેવર બ્લોક) ની કામગીરી દ્વારા સ્વચ્છતા જાળવવાના પ્રોજેક્ટ્સ. ખાતમુહૂર્તનો ધમધમાટ શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, 28 ફેબ્રુઆરી 2021ના તાલુકા અને જિલ્લા પંચાયતની ગત ચૂંટણી યોજાઈ હતી અને 18 માર્ચ 2021ના પ્રથમ સામાન્ય સભા મળી હતી. હવે જ્યારે 17 માર્ચ 2026ના તાલુકા પંચાયતોની મુદત પૂર્ણ થાય છે, સંભવિત આગામી એકાદ માસમાં ચૂંટણીની જાહેરાત થઈ શકે તેમ છે. આથી, આચારસંહિતા પૂર્વે આગામી એકાદ માસમાં જ મંજૂર થયેલા કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો ધમધમાટ શરૂ થઈ જશે. સત્તાધારી પક્ષ આ અંતિમ તબક્કે મતદારોને રીઝવવા વિકાસના કામોને વહેલી તકે ધબકતા કરવા મથામણ કરી રહ્યા છે. કચ્છની ભૌગોલિક સ્થિતિને જોતા ગ્રામ્ય વિકાસના આ પ્રોજેક્ટ્સ આગામી પાંચ વર્ષ માટે પાયો શાશનધુરાનો નાખશે. હવે સૌની નજર જિલ્લા પંચાયતના બજેટ અવલોકન અને આગામી ચૂંટણીના સમયપત્રક પર ટકેલી છે.
ઝુંબેશનું આયોજન:1લી જાન્યુ.એ 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનો માટે મતદારયાદીમાં નામ નોંધાવવાની તક
ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર કચ્છ જિલ્લામાં તા. 1/01/2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-2026 અંતર્ગત ખાસ ઝુંબેશનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ હેઠળ જે નાગરિકોની ઉંમર 1 જાન્યુઆરી, 2026ના રોજ 18 વર્ષ કે તેથી વધુ થતી હોય, તેઓ મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવી શકશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દ્વારા જાહેર કરાયેલ વિગતો મુજબ 27 અને 28 ડીસેમ્બર ૩ અને 4 જાન્યુઆરીના શનિવાર-રવિવારના દિવસે દરેક મતદાન મથક પર સવારથી સાંજ સુધી બુથ લેવલ ઓફિસર (BLO) હાજર રહેશે. અને નવા મતદારો ત્યાં ફોર્મ 6 ફરીને પોતાનું નામ મતદાર યાદીમાં સામેલ કરાવી શકશે. જયારે ફોર્મ નં. 7 મુસદ્દા મતદારયાદીમાં સમાવિષ્ટ કોઈ નામ સામે વાંધો રજૂ કરવા માટે તેમજ ફોર્મ નં. 8 મતદારયાદીની વિગતોમાં સુધારો કરવા માટે મતદારો પોતાના ફોર્મ ભરી શકશે. આ દરમ્યાન મતદારો મુસદ્દા મતદારયાદીમાં તેમનું નામ છે કે નહીં તેની ખાતરી BLO પાસેથી કરી શકશે. જેમના નામ મુખ્ય યાદીમાં ન હોય, તેઓ ગેરહાજર, સ્થળાંતરિતની યાદીમાં પણ તપાસ કરી શકશે. નાગરિકો રૂબરૂમાં કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી અથવા સીધા મતદાન મથકનો સંપર્ક કરી શકે છે. જે નાગરિકોના નામ મુસદ્દા મતદારયાદીમાં નથી અથવા “NO MAPPING” ના કિસ્સામાં છે, તેઓએ જરૂરી આધાર-પુરાવા સાથે તુરંત સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. મહત્વની તારીખો નોંધી લેશો
સિટી એન્કર:કચ્છ ઉત્સવ અંતર્ગત સ્મૃતિવનમાં ‘ગાથા ભુજંગની અને આઈ આવળની વાત’ નામના નાટકનું આજે મંચન
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત કચ્છ ઉત્સવના ઉપક્રમે આજે સાંજે સ્મૃતિવન ખાતે મા આશાપુરા એજ્યુકેશન સંકુલની વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર કરાયેલ નાટક ‘ગાથા ભુજંગની અને આઈ આવળની વાત’ ગૌતમ એસ. જોશી લિખિત નાટકનું મંચન કરવામાં આવશે. આ નાટક દ્વારા કચ્છ અને રાજસ્થાન વચ્ચેની ઐતિહાસિક સામ્યતા અને સાંસ્કૃતિક સંબંધોને કલાત્મક રીતે રજૂ કરવામાં આવશે. નાટકની કથાવસ્તુમાં ભેરવો ગારુડી અને શૈષાપટ્ટણની રાજકુમારી સંગીઈ સંઘાઇની વાર્તા સાથે ભુજંગ નાગની ગાથા, તેમજ સિંધના મામણીયા ચારણની સાત કન્યાઓમાંથી આઈ આવળના ઇતિહાસ અને તેમના ચમત્કારોને સમાવેશ કરવામાં આવ્યો છે. ચારણો આઈ આવળ સાથે સિંધથી રાજસ્થાન અને ત્યાંથી કચ્છ આવે છે તે કથાને મૌલિક કલ્પનાશીલતા સાથે નાટ્યરૂપ આપવામાં આવ્યું છે. નાટકની કથાવસ્તુ પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ શંભુદાન ગઢવી દ્વારા રચાઈ છે, લેખન પૂર્વ પોલીસકર્મી ગૌતમ એસ. જોશીનું છે અને નિર્માણ તથા દિગ્દર્શન પૂર્વ વનકર્મી શૈલેન્દ્ર ચોકસી દ્વારા કરવામાં આવ્યું છે. પ્રસ્તુતિ સહયોગ પ્રા.મિતાબહેન યાદવ, જ્યારે રજૂઆત મા આશાપુરા બી.એડ. કોલેજ, ભુજની વિદ્યાર્થીનીઓ કરશે. આ 45 મિનિટના નાટકમાં એક જ સ્ટેજ પર એકસાથે લગભગ 40 પાત્રોની અસરકારક રજૂઆત જોવા મળશે. દરેક કલાકાર સંવાદ અને અભિનય સાથે ઉજાગર થતા દર્શકો માટે આ અભિનંદનીય અને યાદગાર અનુભવ બની રહેશે.
છાત્રોને ફાયદો:શહેરની કોમર્સ કોલેજમાં એકાઉન્ટન્સી મ્યુઝિયમનું ઉદ્ઘાટન
શહેરની જે.બી.ઠક્કર કોમર્સ કોલેજ ખાતે એકાઉન્ટન્સી મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરાયું હતું. પીપલ્સ એજ્યુકેશન સોસાયટી સંચાલિત જે.બી.ઠક્કર કોમર્સ કોલેજના પ્રમુખ એડવોકેટ બાલાબેન ઠક્કર તેમજ ટ્રસ્ટના હોદેદારોના નેતૃત્વ હેઠળ WIRC ઓફ ICAI ના સભ્યો દ્વારા એકાઉન્ટન્સી મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરાયું જે પ્રસંગે સભ્યો કેતન સૈયા (ચેરમેન- WIRC ઓફ ICAI) પિયુષ ચાંદક (વાઈસ ચેરમેન), જીનલ સાવલા (સેક્રેટરી), ડૉ.ફેનિલ શાહ (ટ્રેઝરર), ભાર્ગવ શંકરવાલા (ચેરમેન- ભુજ બ્રાંચ), રીકીન પટેલ (રીજીનલ કાઉન્સિલ મેમ્બર) અને કોલેજના પ્રિન્સીપાલ ડૉ.મૌલિક બારોટ હાજર રહ્યા હતા. અકાઉન્ટન્સી મ્યુઝિયમનો મુખ્ય ઉદ્દેશ્ય વિષયના ઈતિહાસ, વિકાસ, મહત્વપૂર્ણ સિદ્ધાંતો, ચાર્ટર્ડ અકાઉન્ટન્સી વ્યવસાયની યાત્રા તથા આધુનિક અકાઉન્ટિંગ પદ્ધતિઓ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવવાનો છે.કોલેજના પ્રિન્સિપાલ ડૉ. મૌલિક બારોટે જણાવ્યું કે, અકાઉન્ટન્સી મ્યુઝિયમ તથા CA પરીક્ષા કેન્દ્ર બંને વિદ્યાર્થીઓના ભવિષ્યને મજબૂત બનાવવામાં ઉપયોગી સાબિત થશે. ICAI દ્વારા આયોજિત ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ (CA) પરીક્ષાઓ હવે કોમર્સ કોલેજમાં જ યોજવામાં આવનાર છે.જેથી CA અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરીક્ષા માટે સુવિધાજનક અને અનુકૂળ કેન્દ્ર ઉપલબ્ધ થશે. કોલેજને CA પરીક્ષા કેન્દ્ર તરીકે માન્યતા મળવી એ સંસ્થાની શૈક્ષણિક વિશ્વસનીયતાનું પ્રતિબિંબ છે.
નોકરી ન્યૂઝ:સ્પોર્ટ્સમાં ઇન્ટર્નશિપ માટે કુલ 452 જગ્યા,20 હજાર સ્ટાઇપેન્ડ
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા કોમ્પ્રિહેન્સિવ ઇન્ટર્નશિપ હેઠળ દર વર્ષે 452 પેઇડ ઇન્ટર્નશિપની જગ્યા ઉપલબ્ધ કરાશે. પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને 20 હજાર સ્ટાઇપેન્ડ અપાશે. જેના માટે સરકાર દ્વારા વાર્ષિક 5.30 કરોડ બજેટ ફાળવાયું છે. આ અંતર્ગત ઇન્ટર્ન્સને ઇવેન્ટ મેનેજમેન્ટ, સ્પોર્ટ્સ સાયન્સ, એન્ટી ડોપિંગ, એથલીટ સ્પોર્ટ્સ અને નીતિ અમલીકરણ જેવા ક્ષેત્રોમાં કામ કરવાની તક મળશે. દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં બે ભરતી ચક્ર આયોજિત કરશે. પસંદગી પ્રક્રિયા ઓનલાઇન પોર્ટલ દ્વારા કરાશે. ઉમેદવારોની પસંદગી ધોરણ 10, 12 અને સ્નાતકના ગુણના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરીને કરાશે. આ ઇન્ટર્નશિપ દ્વારા રમતગમત ક્ષેત્રે કુશળ વ્યાવસાયિકોની એક મજબૂત શ્રેણી તૈયાર થશે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોપરી ગણીને યુનિવર્સિટીએ રખડતા શ્વાનોના ત્રાસ સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવી છે. કેમ્પસમાં કોઈ શ્વાનને દૂધ કે બિસ્કિટ ખવડાવતા ઝડપાશે, તો તેની સજા રૂપે સિક્યોરિટી એજન્સીએ દંડ ભોગવવો પડશે. રાજ્યના ઉચ્ચ શિક્ષણ કમિશનરના આદેશ બાદ VNSGUએ કેમ્પસમાં ‘નોડલ ઓફિસર’ની નિમણૂક કરી છે. આ અધિકારીનું મુખ્ય કામ સિક્યોરિટી ગાર્ડ્સની કામગીરી પર બાજ નજર રાખવાનું રહેશે. કેમ્પસમાં શ્વાન લટાર મારતા દેખાશે, તો નોડલ ઓફિસરના રિપોર્ટના આધારે સિક્યોરિટી એજન્સીને આકરો દંડ કરાશે. જેનો ઉદ્દેશ્ય કેમ્પસને ‘ડોગ-ફ્રી’ ઝોન બનાવવાનો છે. હોસ્ટેલના મેસ અને કેન્ટીન વિસ્તારમાં શ્વાનનો જમાવડો વધુ જોવા મળે છે.જેનું સીસીટીવી દ્વારા મોનિટરિંગ કરાશે. જો કોઈ વિદ્યાર્થી કે સ્ટાફ શ્વાનને ખવડાવતા જણાશે તો તેની સામે પણ પગલાં લેવાશે ત મહાનગરપાલિકા અને એનજીઓના સહયોગથી કેમ્પસમાં રહેલા શ્વાનોનું ખસીકરણ અને વેક્સિનેશન થાય તેવું આયોજન પણ વિચારાધીન છે. કોલેજો અને યુનિવર્સિટીઓએ કરવાના 10 મહત્વના કામ શું છે સમગ્ર મામલો?નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા રખડતા કૂતરાઓના વધતા ત્રાસ અને તેના કારણે થતી જાનહાનિ અંગે ગંભીર નોંધ લેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન મુજબ, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે રાજ્યની તમામ સરકારી અને અનુદાનિત કોલેજો તેમજ યુનિવર્સિટીઓને કેમ્પસમાં રખડતા કૂતરાના ત્રાસથી વિદ્યાર્થીઓની સુરક્ષાના કડક પગલાં લેવા આદેશ આપ્યો છે.
31 ડિસેમ્બરને લઈ પોલીસ દ્વારા પ્રોહિબિશન ડ્રાઈવ યોજાઈ છે. છાણી પોલીસે દશરથના ગોડાઉનમાંથી ~32.33 લાખની 349 દારૂની પેટી પકડી આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. છાણી પોલીસ મથકના પીઆઈ આર.એલ.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, દશરથ ગામના શિવ એસ્ટેટના ગોડાઉનમાં દરોડો પાડીને ~32.33 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે 349 પેટીમાં રહેલી 16,752 બોટલ કબજે કરીને પ્રકાશ સીયારામ (રહે. જોધપુર)ને વોન્ટેડ જાહેર કરી તેની સામે ગુનો નોંધ્યો હતો. શહેરના લિસ્ટેડ અને નોન લિસ્ટેડ બૂટલેગરોની યાદી બનાવી પોલીસ દ્વારા વોચ રખાઈ રહી છે. છાણી સહિત 3 પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા દશરથના આ જ ગોડાઉનને પકડવા માટે ઉજાગરા કરાઈ રહ્યા હતા. એક વાહનની માહિતીના આધારે ગોડાઉન પકડાયું હતું. શિવ એસ્ટેટમાં આવેલું ગોડાઉન ભાગીદારીમાં છે. જેમાં એક મયુર નામના ભાગીદારને રવિવારે પોલીસ મથકમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. દશરથ ગામના ગોડાઉન દારૂ રાખવાનું હોટસ્પોટ, 2.59 કરોડનો દારૂ ઝડપાયો હતોદશરથ ગામ પાસે આવેલા ગોડાઉન દારૂનો જથ્થો રાખવાનું હોટસ્પોટ બન્યું છે. મોટાભાગે રાજસ્થાની બૂટલેગર દ્વારા ગોડાઉન ભાડે રાખી દારૂનો સ્ટોક કરતા હોય છે અને ત્યાંથી વડોદરા ઉપરાંત અન્ય શહેરોમાં દારૂનો સપ્લાય પણ કરે છે. 6 મહિના પહેલા જ દશરથ ગામમાં બાલાજી ટ્રેડર્સના ગોડાઉનમાં રાજસ્થાન પાસિંગની ટ્રકમાંથી દારૂ ઉતારવામાં આવી રહ્યો હતો, તે દરમિયાન જ એસએમસીની ટીમે રેડ કરીને રૂા.2.59 કરોડનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. આટલી મોટી સંખ્યામાં દારૂ ઝડપાયાનો પહેલો કિસ્સો હતો. ઉલ્લેખનિય છે કે, આ કેસમાં પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે છાણી પીઆઈ એ.પી.ગઢવીને સસ્પેન્ડ કર્યાં હતાં.
શહેરના 33 ટકા વિસ્તારમાં પીવાના પાણીની જરૂરિયાત પૂરી પાડતા સરથાણા વોટર વર્ક્સ પ્લાન્ટ પર લગાવાયેલો 1020 કિલો વોટ ક્ષમતાનો સોલાર રૂફ ટોપ પ્લાન્ટ પાલિકાને વીજ બિલમાં વર્ષે 95 લાખ રૂપિયાની બચત કરવામાં કારગર નિવડ્યો છે. વર્ષ-2020માં 700 કિલોવોટ અને વર્ષ-2023માં 320 કિલોવોટ એમ બે તબક્કામાં સ્થાપિત કુલ 1020 કિલો વોટના સોલાર પ્લાન્ટના કારણે પાલિકા વીજ ફોલ્ટ સમયે પણ સોલારથી એનર્જી મેળવી વગર વિધ્ને શહેરીજનોને સુવિધા પૂરી પાડી રહી છે. એટલું જ નહીં પણ સોલાર પ્લાન્ટની વ્યવસ્થા બાદ સરથાણા વોટર વર્ક્સ પ્લાન્ટમાં દૈનિક 614 MLD પાણીનું શુદ્ધિકરણ કરવાની સાથે આ પાણી વરાછા-સરથાણા, ખટોદરા, અઠવા, ઉધના અને સેન્ટ્રલ ઝોનમાં સપ્લાય થાય છે.
ખાનગી-સરકારી યુનિવર્સિટીમાં પીએચડી કરતા વિદ્યાર્થીઓની સંશોધન ક્ષમતાને પ્રોત્સાહિત કરવા વર્ષે 4 લાખની મદદ કરતી ગુજરાત સરકારના નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાતની SHODH (સ્કીમ ઓફ ડેવલપિંગ હાઇ ક્વોલિટી રિસર્ચ) યોજનામાં આ વર્ષે મ.સ. યુનિ.ના માત્ર 27 વિદ્યાર્થી પસંદ થયા છે. 4 વર્ષમાં યુનિ.માં સંશોધનને પ્રોત્સાહિત કરવાની ગુલબાંગો પોકારાઇ, બીજી તરફ પીએચડીના વિદ્યાર્થીઓ એમએસયુમાં પ્રવેશ ન મેળવે તે માટે કારસો ઘડાતો ગયો. પરિણામ એ આવ્યું છે કે, 2020માં રાજ્યભરમાં સૌથી વધુ 132 વિદ્યાર્થી એમએસયુના હતા, જ્યારે 2 વર્ષથી આ સંખ્યા 27 પર અટકી રહી છે. આ વિશે મ.સ.યુનિવર્સિટીના પ્રાધ્યાપકો સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે, કોમન એક્ટને સમાંતરે યુનિવર્સિટી માટે લેવાયેલા કેટલાક અણઘડ અને આપખુદ નિર્ણયથી એમએસયુની અવદશા થઇ છે. પીએચડી પ્રવેશ માટે ટેસ્ટ ફરજિયાત કરાતાં અને સંશોધન કરાવવા માટેના પ્રાધ્યાપકો ઘટતાં આ ફિયાસ્કો સર્જાયો છે. હવે નવનિયુક્ત વીસી સામે આ પણ એક પડકાર હશે. પ્રાધ્યાપકો ઘટ્યા અને એન્ટ્રન્સ ટેસ્ટ ફરજિયાત કરવા સહિતના નિયમોના શીર્ષાસનને કારણે વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડોએમએસ યુનિવર્સિટીમાં 2019માં 650 ફુલ ટાઇમ પ્રાધ્યાપકો હતા. છેલ્લાં 6 વર્ષમાં નિવૃત્તિઓ થતાં અને નવા પ્રાધ્યાપકોની પ્રક્રિયા ન કરાતાં સંખ્યા ઘટીને 400થી નીચે છે. એટલે કે પીએચડી કરાવી શકે તેવા પ્રાધ્યાપકોનો ગ્રાફ સડસડાટ ગયો છે. 2021 સુધી પીએચડીના વિદ્યાર્થીઓને વર્ષના કોઇ પણ મહિનામાં સમાવી શકાતા હતા. જોકે પૂર્વ વીસી શ્રીવાસ્તવના સમયમાં નેટ-સેટ પાસ વિદ્યાર્થીઓને પણ એન્ટ્રન્સ ફરજિયાત કરાતાં અને વર્ષમાં પીએચડીની પરીક્ષા એક જ વાર કરાતાં વિદ્યાર્થીઓ એમએસયુથી વિમુખ થતા ગયા. નિયમોમાં શીર્ષાસન થયું અને પ્રાધ્યાપકો ઘટ્યા, જેથી પીએચડી કરનારા વિદ્યાર્થીઓ પણ નોંધપાત્ર રીતે ઓછા થયાં છે. પીએચડીના નિયમો બદલ્યા અને ગાઇડ ઘટતાં વિદ્યાર્થીઓ પર અસરવિદ્યાર્થીઓની સંખ્યાની પડતીનાં 4 મુખ્ય કારણો છે. યુનિવર્સિટીમાંથી 32 પીએચડી વિદ્યાર્થીઓ જ આ માટે રજિસ્ટર થયાં હતાં. કોરોનાની અસરથી વર્ષ 2021-22માં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો. જોકે પછીનાં 3 વર્ષ યુનિવર્સિટીએ પીએચડીના નિયમો બદલ્યા, પીએચડી ગાઇડ ઘટ્યા છે. આ ઉપરાંત શોધ વિશેની જાગૃતિ પણ વિદ્યાર્થીઓમાં ઓછી હોઇ શકે. ગોલ્ડ મેડલ બાદ શોધ સિલેક્શનમાં પણ વિદ્યાર્થિનીઓ આગળ રહીઆ વર્ષે જે 27 વિદ્યાર્થીઓ પસંદ થયા છે, તેમાંથી 16 વિદ્યાર્થિનીઓ છે. જેમાં 9 તો સાયન્સ ટેક્નોલોજીની છે. જ્યારે કોમર્સ ફેકલ્ટીમાં એકમાત્ર વિદ્યાર્થિની જ છે. ઉપરાંત હોમ સાયન્સ ફેકલ્ટીની ડિપાર્ટમેન્ટ ઓફ એક્સટેન્શન એન્ડ કમ્યુનિકેશનની બિરિના દાસ અને કમ્યૂનિટી સાયન્સની કેરવી પંડ્યાએ 75-75 માર્ક્સ મેળવીને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં સૌથી વધુ માર્ક્સ મેળવ્યા છે. જ્યારે અંગ્રેજી અને ગુજરાતી સાહિત્યના 3-3, કેમિસ્ટ્રીના 3 અને ફિઝિક્સના 5 વિદ્યાર્થીઓ છે.
રિંગ રોડ સહારા દરવાજા પાસે ફાલસાવાડી પોલીસ લાઇન પાસે મહાપાલિકાની પાણીની મુખ્ય લાઇનમાં સીટકોની બ્રિજ માટે પાઇલ ખોદવાની કામગીરીમાં બેદરકારીને પગલે 5 મીટર જેટલી જૂની લાઇનમાં ભંગાણ પડતાં મહાપાલિકાનું હાઇડ્રોલિક ખાતુ દોડતું થઈ ગયું હતું. શુક્રવાર સવારથી લઈને શનિવાર સાંજ સુધી 30 કલાકથી રિપેરિંગ કામગીરી ચાલી રહી છે. સીટકો, મેટ્રો અને હાઇડ્રોલિક ખાતા ત્રણેયની ટીમ મેનપાવર, મશીનરી રિપેરિંગ કામગીરીમાં જોતરાઇ છે. જૂની લાઇન હોય ખોલાતા વધુ લાઇન ડેમેજ થઈ હતી, જેથી પરિસ્થિતિ વધુ બગડી હતી. લાખો લીટર પાણી ફાલસાવાડી રિંગ રોડથી સહારા દરવાજા પર રસ્તા પર વહી જતાં ટ્રાફિક જામની પણ કફોડી સ્થિતિ સર્જાતા અધુરામાં પુરું શહેર ટ્રાફિક પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. આ ભંગાણને પગલે વરાછા ઝોન, ઉધના ઝોન, સેન્ટ્રલ ઝોન અને અઠવા ઝોનનો અડધો વિસ્તારમાં છેલ્લા બે દિવસ પાણી સપ્લાઇ ઠપ થઈ જતાં ટેન્કરો દોડાવવાની સ્થિતિ સર્જાઇ છે. શનિવારે સાંજે રિપેરિંગ પૂર્ણ થતાં સેન્ટ્રલ ઝોનમાં પાણી સપ્લાય બાદ તબક્કાવાર સપ્લાય કરાશે તેમ હાઇડ્રોલિક ખાતાએ જણાવ્યું હતું. 30 કલાક થી રિપેરિંગ કામગીરી ને પગલે પાણીનો લાખો લીટર વ્યય થયો છે. સંપૂર્ણપણે રિપેરિંગ કામ પૂર્ણ થઈ ગયા બાદ બાકીના વિસ્તારોમાં રાબેતા મુજબ પાણીનો સપ્લાય શરૂ કરવામાં આવશે. સહારા દરવાજાથી દિલ્હી ગેટ પર ટ્રાફિક જામ થઈ ગયોસીટકો, મેટ્રો અને હાઇડ્રોલિક ખાતાએ મળી બેરિકેડ કરીને રિપેરિંગ કામગીરી હાથ ધરતાં રસ્તા પર પાણી જ પાણીને પગલે ટ્રાફિક ધીમો થઈ ગયો હતો તેથી સહારા દરવાજાથી દિલ્હીગેટ અને ફાલસાવાડી તરફના રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ ગઈ હતી. એસીપી વિમલ ગામિતે તુરંત પહોંચી ને ટ્રાફિક પોલીસ ગોઠવી વ્યવસ્થા સંભાળી હતી એકતબક્કે ભારે ટ્રાફિક ને સંભાળવા નાકે દમ આવી ગયો હતો. અઠવા,વરાછા,ઉધના,સેન્ટ્રલ ઝોન, ટેન્કરથી પાણી અપાયુંજૂની લાઇન તૂટી હોય રિપેરિંગમાં 30 કલાક જેટલો સમય લાગ્યો છે ત્યારે વરાછા, ઉધના, સેન્ટ્રલ ઝોન તથા અઠવાનો અડધો વિસ્તારને પાણી સપ્લાય થઈ શકી ન હોય 14 લાખથી વધુ વસ્તીને અસર વર્તાઇ છે. જરૂરિયાત વિસ્તારમાં પાણીના ટેન્કરો દોડાવવામાં આવ્યાં છે. સુત્રોના જણાવ્યા મુજબ અઠવામાં મોટા બંગલો,મકાનો હોય ગાર્ડનિંગ સહિતનો ઉપયોગ વધુ રહેતાં પાણી ના ટેન્કરો વધુ દોડાવાયા હતા. દોઢ મહિનામાં વારંવાર પાણીની લાઇનને નુકસાન પહોંચાડનારી SITCOને પાલિકા નોટીસ ફટકારાશેસીટકો દ્વારા બ્રિજ માટેની ચાલતી કામગીરીમાં શુક્રવારે સવારે ફાલસાવાડી પોલીસ સ્ટેશન પાસે પાઈલ ના ખોદકામ વેળા જૂની મેઇન પાણીની લાઇન તોડી પાડી હતી. હાઇડ્રોલિક ખાતાએ જણાવ્યું હતું કે, સીટકોની કામગીરીમાં છેલ્લા દોઢ મહિનામાં આ વિસ્તારમાં જ આ ચોથી વખત મ્યુનિ.ની પાણીની લાઈનમાં તોડી પાડી છે. આ લાઇન 1200એમએમ ની 5મીટર તોડી છે. નવેમ્બરમાં ફાલસાવાડી નજીક 900એમએમ ની લાઈન અને 450 એમએમ ની લાઇન તોડી હતી તેમજ ડિસેમ્બરમાં 900 એમએમની લાઇન તોડવામાં આવી છે. આ વખતે વધુ ડેમેજ અને પાણી બગાડ થતાં હવે કમિશનરને ધ્યાને લાવી સીટકોને ચેતવણી સાથે નોટીસ ફટકારવામાં આવશે.
આવેદનપત્ર:જૂના પાદરા રોડ ઉપર વૃદ્ધે લગાવેલા નો-પાર્કિંગના બે બોર્ડ પાલિકાએ કાઢી નાખ્યા
જૂના પાદરા રોડ પાસ જર્જરિત મકાનમાં રહેતા અને કોર્પોરેશનની રોડ શાખામાંથી નિવૃત્ત થયેલા 77 વર્ષિય વૃદ્ધે ગેરકાયદે લગાવેલા નો-પાર્કિંગના બે બોર્ડ આખરે પાલિકાની ટ્રાફિક શાખાએ શનિવારે સવારે 10 વાગે કાઢી લીધા હતા. આ પહેલા ગેરકાયદે નો-પાર્કિંગના બોર્ડ અંગે વેપારીઓ અને સ્થાનિક લોકોએ વિરોધ કરીને કલેક્ટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. આ કાર્યવાહી બાદ લોકોએ પાલિકાનો આભાર માન્યો છે. અટલ બ્રિજના છેડા પાસે ભગવતી પાર્ક સોસાયટી આવેલી છે. જેના જર્જરિત મકાનમાં રહેતા વૃદ્ધ દ્વારા રોડ પર ગેરકાયદે નો-પાર્કિંગનાં 2 બોર્ડ લગાવી ટ્રાફિક પોલીસને ગેરમાર્ગે દોર્યાનો આક્ષેપ કરાયો હતો. જ્યારે ટ્રાફિક પોલીસ નો-પાર્કિંગના બોર્ડ લગાવેલા સ્થળે કોઈ વાહન પાર્ક કરે તો દંડ તેમજ ચલણ આપી રહી હતી. નો-પાર્કિંગના બોર્ડ મુદ્દે લોકોએ વિરોધ કર્યો હતોજૂના પાદરા રોડ પર નો-પાર્કિંગના બોર્ડ અંગે લોકોના વિરોધ અને ઉપરી અધિકારીના આદેશ અન્વયે ગેરકાયદે નો પાર્કિંગના બોર્ડ કાઢી નખાયા છે. > અમૃતા જોષી, ડે.ઇજનેર, ટ્રાફિક શાખા
ભાસ્કર નોલેજ:વડોદરા-દહાણુ ટ્રેનમાં સ્લિપર કોચ મૂકવા રેલવે પેસેન્જર એસો. દ્વારા માગ
વડોદરા-દહાણુ એક્સપ્રેસ ટ્રેનમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ધસારો વધવાના પગલે યાત્રીઓ દ્વારા ટ્રેનમાં સ્લિપર કોચ મૂકવાની માગણી કરી છે. આ ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનથી સવારે 6.20 કલાકે ઉપડે છે. સવારની શિફ્ટમાં કામ કરતા લોકો માટે આ ટ્રેનનું સમયપત્રક અનુકુળ છે. આ ટ્રેન દહાણુ રોડથી ઉપડીને રાત્રે સાડા આઠના સુમારે વડોદરા પહોંચે છે. અત્યારે જે કોચ ટ્રેનમાં જોડાય છે તેમાં માત્ર બેઠક વ્યવસ્થા છે જે અપૂરતી છે. જેના પગલે ટ્રેનમાં સ્લિપર કોચ મૂકવા માગ રેલવે પેસેન્જર એસો. દ્વારા કરાઇ છે. ભુજ-બાંદ્રા સયાજીનગરીને સમયસર સંચાલિત કરાયપેસેન્જર એસોસિયેશન દ્વારા ભુજ-બાંદ્રા સયાજીનગરી ટ્રેનને સમયસર સંચાલિત કરવા માગ કરવામાં આવી છે. આ પાછળનું કારણ એ છે કે, આ ટ્રેનમાં પણ શિફ્ટમાં કામ કરતાં સેંકડો કર્મચારીઓ કામ કરે છે. જો આ ટ્રેન મોડી પડે તો શિફ્ટમાં મોડા પડતાં કર્મચારીઓમાં પગાર કપાઇ જવાનો ભય તોળાતો રહે છે. જ્યારે વલસાડ-વડનગર ટ્રેનને અંકલેશ્વર સ્ટોપેજ આપવા પણ માગણી કરાઇ છે.
કામરેજના ઉંભેળ સહિતના વિસ્તારોમાં વિકસી રહેલા નવા ટેક્સટાઈલ ઝોનમાં વીજળીના ધાંધિયા પડકાર બની રહ્યા છે. શહેરની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી હાલમાં અપગ્રેડેશન મોડમાં છે. જૂનાં મશીનો બદલીને ઉદ્યોગકારો એરજેટ, વોટરજેટ, રેપિયર જેકાર્ડ સહિતની હાઈ-સ્પીડ ટેક્નોલોજી સ્થાપી રહ્યા છે, પરંતુ જેટકો અને ડીજીવીસીએલ ભવિષ્યની માંગ પ્રમાણે વીજ પુરવઠાનું પ્લાનિંગ ન કરતાં ઉદ્યોગકારો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે, ‘આ વિસ્તારમાં 2 સબસ્ટેશનની જરૂર સામે હાલ એક જ સબસ્ટેશનમાંથી પુરવઠો ફાળવાતાં ક્વોલિટી પાવર મળતો નથી અને મશીનોની સર્કિટો ફૂંકાઈ જતાં પ્રોડક્શન લોસ આવે છે. એક સેકન્ડના પાવર જર્કથી વીવિંગ મશીનમાં 7 હજાર રૂપિયાના કાર્ડ ફૂંકાઈ જાય છે. વળી જર્ક બાદ એક સાથે તમામ મોટર આરપીએમ લોડ લેતાં બિલ વધે છે. એક મહિનામાં 30 ઝટકાથી 10થી 12 હજાર રૂપિયાનું બિલ વધી જાય છે.’ ઉંભેળમાં 1 હજારથી વધુ યુનિટો છે, બીજી તરફ નવા નવા ઉદ્યોગો સ્થપાતાં હોવાથી બે નવા સબસ્ટેશનની જરૂર છે. હાલ સબસ્ટેશનની ક્ષમતા સામે જોડાણો વધુ હોવાથી ક્વોલિટી પાવર મળતો નથી. ઉદ્યોગકારોની સતત રજૂઆતો છતાં અધિકારીઓની બેદરકારીથી વીજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગંભીર પ્રશ્ન બની ગયો છે. તંત્ર તાત્કાલિક આયોજન કરીને સમસ્યાનો ઉકેલ લાવે એ જ માંગડીજીવીસીએલ ગ્રાહક ફોરમના પ્રતિનિધિ કિરણ ઠુંમરે કહ્યું કે, ‘ઉદ્યોગકારોને ક્વોલિટી પાવર ન મળતાં મશીનો ડેમેજ થાય છે અને પ્રોડક્શન લોસ વધે છે. અનિયમિત પાવરથી કારીગરોને પણ સ્થિર કામ મળતું નથી. તંત્ર તાત્કાલિક આયોજન કરીને સમસ્યાનો ઉકેલ લાવે એ જ ઉદ્યોગકારોની માંગ છે.’ કરોડોની ડિપોઝિટ અને અબજોનાં બિલ છતાં ક્વોલિટી વીજળી નથીવીવર અગ્રણી વિજય માંગુકિયાએ કહ્યું કે, ‘કાપડ ઉદ્યોગ રાજ્યના વિકાસની કરોડરજ્જુ છે. ડીજીવીસીએલ કરોડોની ડિપોઝિટ, અબજોનાં બિલ વસૂલે છે છતાં ક્વોલિટી પાવર આપતી નથી. વારંવાર જર્કથી કાર્ડ, મશીન, ઉત્પાદનનું નુકસાન થાય છે. બેંકના હપ્તા ચાલુ છે, મશીનો-મજૂરો તૈયાર છે પણ વીજળી નથી. 55 ઈન્ડસ્ટ્રિયલ સોસાયટીને એક જ સબ ડિવિઝનમાંથી પાવર મળે છેકામરેજમાં 55 ઈન્ડસ્ટ્રિયલ સોસાયટી માટે એક જ સબસ્ટેશન છે. અગાઉ હળધરુ અને માંકણા ઈન્ડસ્ટ્રિયલને પણ એ જ સબસ્ટેશનમાંથી વીજળી મળતી હતી. ઉદ્યોગકારોની સતત રજૂઆતો બાદ આ બે ગામને બીજા સબસ્ટેશન સાથે જોડાયા છે, છતાં ઉંભેળ અને પરબ વિસ્તાર માટે લાંબા ગાળાનો કાયમી ઉકેલ આવ્યો નથી. આગામી 2 વર્ષમાં જ નવા એક હજારથી વધુ યુનિટ શરૂ થશેહાલ ઉંભેળ અને પરબમાં 250થી વધુ નવા કારખાનાંનું બાંધકામ ચાલી રહ્યું છે. આગામી એક વર્ષમાં અંદાજે એક હજારથી વધુ નવાં ટેક્સટાઈલ યુનિટો સ્થાપિત થઈ જશે. જો જેટકો અને ડીજીવીસીએલ દ્વારા સમયસર વધતી માંગ પ્રમાણે સબસ્ટેશન ક્ષમતા અને નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું આયોજન નહીં થાય તો હાલની સમસ્યા આવનારા સમયમાં વધુ વિકટ બનીને ઉદ્યોગની વૃદ્ધિને સીધી અસર પહોંચાડશે. નવા બે સબસ્ટેશન જરૂરી : હાલ પ્રોડક્શન લોસ, ઊંચી મેઇન્ટેનન્સ કોસ્ટ મોટી સમસ્યાઓછા વોલ્ટેજ, વારંવાર ટ્રિપિંગ અને અનિયમિત પાવર સપ્લાય જેવી સમસ્યાઓને કારણે હાઈ-ટેક મશીનોના સર્કિટો વારંવાર ડેમેજ થાય છે. મશીનરીના બ્રેકડાઉનથી પ્રોડક્શન બંધ થવાનું વધી રહ્યું છે. ઉદ્યોગકારો કહે છે કે ક્વોલિટી પાવર ન મળવાથી રોજિંદું ઉત્પાદન ઓછું થાય છે, મશીનોની મેઈન્ટેનન્સ કૉસ્ટ વધી જાય છે અને કારીગરોને પણ નિયમિત કામ ન મળવાથી તેઓ યુનિટો છોડીને બીજી જગ્યાએ કામ શોધવા મજબૂર થાય છે.
કેટરિંગની મહિલા પીઆરઓ સાથે મેનેજરને પ્રેમ થઈ જતાં લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. મહિલા પાસેથી યુવકે 2 લાખ પણ પડાવી લીધા હતા. ત્યારબાદ યુવક ભાગી ગયો હોવાની ફરિયાદ બાપોદ પોલીસ મથકે નોંધાઈ છે. લગ્ન કે શુભ પ્રસંગમાં કેટરિંગમાં પીઆરઓ તરીકે કામ કરતી 38 વર્ષીય મહિલાનો એક વર્ષ પહેલાં લગ્ન પ્રસંગે કેટરિંગના મેનેજર હિતેશ લબાના (વડોદરા, મૂળ રાજસ્થાન) સાથે સંપર્ક થયો હતો. તે સમયે મોબાઇલ નંબરની આપ-લે થયા બાદ મિત્રતા થઈ હતી. મહિલા વિધવા હોવાની જાણ આરોપી હિતેશને થઈ હતી. બંને વારંવાર મળ્યા બાદ હિતેશે લગ્નની તૈયારી દર્શાવી હતી. તે પછી ગત ફેબ્રુઆરીમાં આજવા રોડની હોટેલ માન સરોવરમાં મહિલાને લઈ ગયો હતો. જ્યાં શારી સંબંધ બાંધવાની વાત કરતાં મહિલાએ ઇનકાર કર્યો હતો. જોકે યુવકે મહિલાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. તે પછી 5 વખત મહિલાને હોટલમાં બોલાવી દુષ્કર્મ કર્યું હતું. બાદમાં હિતેશે કામ બરાબર મળતું નથી, નાસ્તાની દુકાન ચાલુ કરવી છે, કહી મહિલા પાસેથી 2 લાખ લીધા હતા. જોકે ખોડિયાર નગરમાં ખોલેલી દુકાન ન ચાલતાં બંધ કરી હતી. મહિલાએ આરોપીને લગ્ન કરવા જણાવતાં તેણે રાજસ્થાન રહેતા પરિવારની મંજૂરી લેવી પડશે કહી ભાગી ગયો હતો. તે પરત ન આવતાં મહિલા તપાસ કરવા રાજસ્થાન સ્થિત ડુંગરપુર ગઈ હતી. જ્યાં તેના ભાઈએ આરોપી પરત આવશે, એમ કહી પરત મોકલી હતી. લાંબા સમય સુધી આરોપી પરત ન આવતાં મહિલાએ બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પરિવાર પણ ઘર છોડી ભાગી ગયોકેટરિંગમાં કામ કરતી પીઆરઓને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ ગુજારનાર આરોપી વતન રાજસ્થાન ભાગી ગયો હતો. પરિણામે મહિલા તેને શોધવા ગત નવરાત્રીમાં તેના વતન ડુંગરપુર જિલ્લાના માડા ગામે ગઇ હતી. તે સમયે આરોપીના ભાઈએ તેને સમજાવી હતી કે, આરોપી વડોદરા આવી લગ્ન કરશે. જોકે આરોપી ન આવતાં મહિલા ફરી તેના વતન ગઈ હતી. એ સમયે તેનો પરિવાર પણ ઘર છોડી ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.
શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે ત્યારે પોલીસ લેઇન ડ્રાઇવિંગ કરાવવા પર ભાર આપશે. શહેરના 5 ભારે ટ્રાફિક પોઇન્ટનો સરવે કરી વાહનો હવે સરળતાથી ડાબી તરફ વળી શકે તે માટે પોલીસે ‘સ્પ્રિંગ પોસ્ટ’ લગાવ્યા છે. જોકે તે સ્પ્રિંગ પોસ્ટની વચ્ચેથી કોઈ પસાર ન થાય તે માટે તેની વચ્ચે ‘વ્હીલ ચોક્સ’ પણ લગાવી દેવાયા છે. જ્યારે અન્ય સ્થળે પણ સરવે કરી સ્પ્રિંગ પોસ્ટ લગાવાશે. તાજેતરમાં વુડા સર્કલ પાસે બસે વૃદ્ધ દંપતીને અડફેટે લેતાં વૃદ્ધાનું મોત થયું હતું. જેને પગલે ખાસ વુડા સર્કલ પાસે રોડ પર લાંબી ચેઇનમાં સ્પ્રિંગ પોસ્ટ લગાવાયાં છે. પોલીસ દ્વારા લાંબા સમયથી સ્પ્રિંગ પોસ્ટની ખરીદીની પ્રક્રિયા ચાલી રહી હતી. જ્યારે અન્ય સ્થળે પાલિકાને પત્ર લખી બુલાર્ડ, ડિવાઇડર, ડાબી તરફના વળાંક માટે સિમેન્ટના ડિવાઇડર લગાવવાનું આયોજન કરાશે. ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડને વધુ સંખ્યામાં ગ્રાઉન્ડ પર ઉતારાશે. ટ્રાફિક મેનેજમેન્ટ માટે ટીઆરબીની 160ની ઘટને ભરવા 5 દિવસ બાદ ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ લગાવેલા બુલાર્ડ લોકો કાઢી ગયામાર્ચ મહિનામાં ફતેપુરા, કુંભારવાડા પોલીસ સ્ટેશન સામે, ન્યૂ વીઆઈપી રોડ પાલિકા દ્વારા બુલાર્ડ લગાવવામાં આવ્યાં હતાં. કેટલાંક બુલાર્ડ લોકોએ ઉખાડી દીધાં, જ્યારે કેટલાક ચોરી પણ થઈ ગયા હતા. વર્ષની શરૂઆતમાં શહેરના 60 કટની ઓળખ કરી ત્યાં બુલાર્ડ સહિત લગાવવાનું આયોજન કરાયું હતું. પ્રાથમિક પોઇન્ટ પર લગાવાયા છેપોલીસે પ્રાથમિક 5 હેવી ટ્રાફિક પોઇન્ટ પર સ્પ્રિંગ પોસ્ટ લગાવાયા છે. વાહન ચાલકો સરળતાથી ડાબી તરફ વળી શકે તે માટે આયોજન કરાયું છે. ટીઆરબીની 160 જગ્યાની ઘટની ભરતી કરી ટ્રાફિક મેનેજમેન્ટ માટે ગ્રાઉન્ડ પર ઉતારાશે. > તેજલ પટેલ, ડીસીપી ટ્રાફિક ક્યાં સ્પ્રિંગ પોસ્ટ લગાવાયાં છે?
નાનપુરા ખાતે રહેતી એક મહિલા કેન્સરની ટ્રીટમેન્ટ બાદ કલેઇમની રકમ લેવાના કેસમાં વીમા કંપનીએ તદ્ન હાસ્યાસ્પદ અને અવ્યવહારુ તારણ રજૂ કરીને મહિલાનો કલેઇમ નામંજૂર કર્યો હતો. વીમા કંપનીએ કહ્યું હતું કે મહિલાએ જે સારવાર લીધી છે તે નેચરોપેથીની છે. જ્યારે અરજદાર મહિલાએ ખરેખર તો કિમોથેરોપી લીધી હતી અને આ અંગે ડોકટરના પુરાવા પણ આપ્યા હતા. અંતે આ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો અને એડવોકેટ શ્રેયસ દેસાઈની દલીલો બાદ રૂપિયા 2.61 લાખનો કલેઇમ મંજૂર કરતો હુકમ કરવામાં આવ્યો હતો. સમગ્ર કેસમાં સારવાર બાદ મહિલાનું અવસાન થયું હતું અને ઘરના સભ્યોએ ગ્રાહક કોર્ટમાં સમગ્ર કેસ લડ્યો હતો. વીમા કંપની કેવી રીતે નેચરોપેથી ગણી શકે, સમજાતુ નથી: દલીલઅરજદાર તરફે શ્રેયસ દેસાઈ અને પ્રાચી અર્પિત દેસાઈની દલીલ હતી કે ફરિયાદની કિમોથેરોપી સહિતની ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી. નેચરોપેથીની નહીં. વીમા કંપની તેને કયા આધારે નેચરોથેરાપીની ટ્રીટમેન્ટ ગણે છે તે સમજાતું નથી. ડોકટર ક્વોલિફાઇડ સર્જન છે અને દર્દીને કઇ સારવાર આપવી તેનો નિર્ણય ડોકટર જ કરતા હોય છે. સારવાર બાબતે દર્દીની મરજી ચાલતી નથી. દર્દીની પરિસ્થિતિ જોઈને સારવાર અપાય છે. ભાસ્કર ઇનસાઇટડોકટરનો અભિપ્રાય મેળવવામા આવ્યો નહીં : કોર્ટકોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે વીમા કંપની દ્વારા ડોકટરે કયા પ્રકારની સારવાર આપી તે નેચરોથેરાપી ટ્રીટમેન્ટ હતી કે કેમ તે અંગેની પૂછપરછ કરી નથી. તેવા કોઈ નિષ્ણાંત પાસે અભિપ્રાય મેળવેલ નથી.ત્યારે માત્ર વીમા કંપની દ્વારા ફરિયાદીનો ક્લેઇમનો પૂરપૂરો અભ્યાસ કર્યા વગર મનસ્વી રીતે અર્થઘટન કરી પ્રથમ ક્લેઇમ નામંજૂર કરી બીજા ક્લેઇમનો કોઇ કાર્યવાહી કર્યાના પુરાવા રજૂ કર્યા નથી. વીમેદાર બિમારીના રક્ષણ માટે પોલિસી લે છે: કોર્ટકોર્ટે નોંધ્યું કે, વીમા કંપનીનું પોલિસી વિરૂદ્ધનું વર્તન ગ્રાહકના હિત વિરુદ્ધ પુરવાર થાય તો તે ચોક્કસપણે સેવામાં ખામી દર્શાવે છે અને વીમા કંપનીને ફરિયાદીને બિનજરૂરી રીતે કોઈપણ જાતના યોગ્ય કારણો વગર હેરાનગતિ પહોંચાડી છે તેવું માની શકાય. વીમેદાર પ્રીમિયમ ભરી ભવિષ્યમાં આવી પડનાર બીમારીના રક્ષણ અર્થે પોલિસી લેતા હોય છે.
મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ તરીકે કાર્યરત શહેરની સયાજી હોસ્પિટલમાં શનિવારે સવારે પીડિયાટ્રિક વિભાગમાં એક જ દિવસની નવજાત બાળકીને સારવાર માટે લાવનાર પરિવાર તેને ત્યજીને ફરાર થઇ જતાં હોસ્પિટલ સત્તાધીશોમાં દોડધામ મચી હતી. આ બનાવ અંગે રાવપુરા પોલીસ મથકે જાણ કરાઈ હતી. સમગ્ર ઘટના અંગે જાણવા મળ્યા મુજબ શનિવારે સવારે 8 વાગે ખાનગી એમ્બ્યુલન્સ દ્વારા એક મહિલા અને બે પુરુષ નવજાત બાળકીને સારવાર માટે સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં લાવ્યા હતા. જ્યાં બાળકીને સારવાર માટે તબીબોએ સ્વીકારી અને પરિવારને કેસ કાઢવા માટે મોકલ્યો હતો. ત્યારબાદ પરિવાર પરત ફર્યો ન હતો. બાળકીની સારવાર સાથે જ તેના પરિવારની શોધખોળ માટે સમગ્ર હોસ્પિટલ પરિસરને સિક્યુરિટી દ્વારા ખૂંદી નાખવામાં આવ્યું હતું. જોકે પરિવારની કોઈ ભાળ ન મળતાં આખરે રાવપુરા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. રાવપુરા પોલીસ દ્વારા સાંજે સીસીટીવીની મદદથી પરિવારજનોની શોધખોળ હાથ ધરી હતી. 8 માસે જન્મેલી બાળકીનું વજન માત્ર 900 ગ્રામસયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના તબીબોએ જણાવ્યા મુજબ બાળકીનું વજન નિયત માત્રા કરતાં ઓછું માત્ર 900 ગ્રામ છે. બાળકી 8 માસે જન્મી છે. તેને શ્વાસની બીમારી હોવાથી તેની સારવાર ચાલી રહી છે. બાળકીની માતાએ પોતાનું નામ પૂર્ણા લખાવ્યું હતુંસયાજી હોસ્પિટલમાં સારવારના બહાને લાવી બાળકીને ત્યજીને જતા રહેનાર પરિવાર દ્વારા બાળકીની માતાનું નામ વોર્ડમાં પૂર્ણા અંબાવત લખાવ્યું હતું. જે નામ સાચું છે કે ખોટું કોઇ ભળતું નામ લખાવ્યું છે કે કેમ તે અંગે પણ હોસ્પિટલ સત્તાધીશોએ તપાસ હાથ ધરી છે.
ડિસેમ્બર મહિનામાં ઠંડીની તીવ્રતા ઓછી નોંધાઈ છે. જોકે જાન્યુઆરી મહિનો શરૂ થતાં જ ઠંડી એકાએક વધી જશે, તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે આગામી 2 જાન્યુઆરીથી ઠંડીનો પારો 4 ડિગ્રી જેટલો ગગડીને 10 થી 11 ડિગ્રી સુધી પહોંચી જવાની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ એક પછી એક પ્રબળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, જેને કારણે પહાડ પર સતત બરફ વર્ષા થશે. જેથી ઠંડા પવનો ફૂંકાતાં ઠંડીની તીવ્રતા વધવાની શક્યતાઓ છે. હવામાન વિભાગના આંકડા અનુસાર, શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 29.8 ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો 14.6 ડિગ્રી નોંધાયો હતો. ભેજનું પ્રમાણ સવારે 83 ટકા અને સાંજે 46 ટકા નોંધાયું હતું. જ્યારે ઉત્તરની દિશાથી 4 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વહેલી સવારે હળવા ધુમ્મસની અસર જોવા મળી શકે છે, જેને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થઈ શકે છે. દિવસે સામાન્ય ગરમી, રાત્રે કડકડતી ઠંડી પડશેવડોદરા સહિત સમગ્ર રાજ્યમાં 2 જાન્યુઆરીથી કડકડતી ઠંડી પડશે. એક પછી એક આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જાન્યુઆરી મહિનો ઠંડો રહેશે. જ્યારે દિવસે થોડી ગરમી રહેશે, પરંતુ રાત પડતાં જ ઠંડીની તીવ્રતા વધી જશે. વડોદરામાં ઠંડીનો પારો 10 થી 11 ડિગ્રી સુધી પહોંચી જવાની સંભાવના છે. > મુકેશ પાઠક, હવામાન શાસ્ત્રી
સન્ડે બિગસ્ટોરી:અડધો કિમીમાં ‘મોતના 4 કૂવા’,ન્યૂ VIP રોડ પર તૂટેલા ડિવાઇડર-ખાડાથી જોખમ
નિરવ કનોજીયાપાલિકા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીથી માંજલપુર ખુલ્લી ગટરના મેઇન હોલમાં પડેલો યુવક મોતને ભેટ્યો છે. ભાસ્કરે કરેલા ગ્રાઉન્ડ રિપોર્ટમાં વારસિયા રિંગ રોડ પંચશીલ એપાર્ટમેન્ટથી ન્યૂ વીઆઇપી રોડ તરફ અને ખોડિયારનગર રોડ પર ડ્રેનેજ લાઈનના ઊંડા ખાડાની આસપાસ બેરિકેડ મૂકેલા ન હોવાનું જણાયું હતું. જ્યારે બાજુના રોડ પરથી વાહનો પસાર થાય છે, જેમાં ડિવાઈડર તૂટેલા છે. જેનાથી અકસ્માત થતાં વાહન ચાલકના 20 ફૂટ ઊંડા ખાડામાં પડવાની શક્યતા છે. ખાડાની પાસે લોકોના ઘરેથી નીકળવાનો રસ્તો છે, જેમાં બહાર નીકળતા સામે જ યમદૂત જેવો ઊંડો ખાડો દેખાય છે. 500 મીટરના રોડ પર 4 જગ્યાએ ખાડા ખોદ્યા, બેરિકેડ નામ માત્ર મૂક્યુંવારસિયા રિંગ રોડ પર પંચશીલ કોમ્પ્લેક્સથી ન્યૂ વીઆઇપી રોડ તરફ પુશિંગથી ડ્રેનેજ લાઈન નાખવાનું કામ ચાલે છે. જેમાં અંદાજિત 500 મીટરના રોડ પર 4 ઊંડા ખાડા ખોદવામાં આવ્યા છે. જોકે આ ખાડાની આસપાસ બેરિકેડ નામ માત્રના મૂક્યા છે, જે મોટી દુર્ઘટનાને નોંતરી શકે છે. ઘરની બહાર નીકળતાં જ સામે યમદૂત જેવો ખુલ્લો કૂવો દેખાય છેપંચશીલ એપાર્ટમેન્ટથી ન્યૂ વીઆઇપી રોડ તરફ નખાતી ડ્રેનેજ લાઈન નજીક કેટલાંક સ્થળોએ જ બેરિકેડ મૂક્યાં છે. વોલ ટુ વોલ રોડ હોવાથી ત્યાં રહેતા લોકોના મકાનનો મુખ્ય દરવાજો રોડ પર નીકળે છે. કેટલાંક મકાનોના ગેટ અને સ્લોપ ખાડા નજીક જ છે. જેથી ત્યાંથી અવર-જવર કરતા લોકોના જીવ પર જોખમ ઊભું થયું છે. ઘરની બહાર જ યમદૂત જેવો કૂવો હોવાથી લોકોને પરેશાની થઈ રહી છે. ખાડાઓની ફરતે સુરક્ષા નથી, બેરિકેડ મૂકવામાં બેદરકારી500 મીટરના રોડ પર ડ્રેનેજ લાઈન માટે 4થી વધુ ખાડા ખોદ્યા છે, જેમાં કામ ચાલે છે. જોકે ખાડાની આસપાસ નામ પૂરતા બેરિકેડ મૂક્યા છે. દુર્ઘટના ન બને તે માટે ખાડાની ચારે તરફ બેરિકેડ મૂકવા જોઈએ, પણ કોન્ટ્રાક્ટરની બેદરકારી આંખે ઊડીને વળગે તેવી છે. માણસ નહીં આખેઆખી કાર પણ સમાઈ જાય એટલો મોટો ખાડોડી માર્ટથી ખોડિયારનગર રોડ પર ડ્રેનેજની કામગીરી માટે 20 ફૂટથી વધુ ઊંડા ખાડા ખોદ્યા છે. જેમાં એક ખાડો પાણીથી ભરેલો છે અને તેમાં આખી કાર ડૂબી જાય તેવી સ્થિતિ છે. ડ્રેનેજની કામગીરી માટે એક તરફનો રોડ બંધ કરાયો છે, પરંતુ ત્યાંથી વાહનોની અવર-જવર ચાલુ છે, જે અકસ્માતને નોંતરી શકે છે. ખાડા પાસેના ડિવાઈડર પણ ઠેર ઠેર તૂટેલાપંચશીલ કોમ્પ્લેક્સથી ન્યૂ વીઆઇપી રોડ ડાબી તરફનો રસ્તો ડ્રેનેજ લાઇનને કારણે બંધ કર્યો છે. જોકે ડિવાઈડરને અડીને ખોદેલા ખાડાથી ડિવાઈડર પણ તૂટેલી હાલતમાં છે. જેનાથી વાહન સીધું ખાડામાં પડે તેવી શક્યતા છે. શહેરમાં આ જગ્યાઓ પર પણ આવી જ પરિસ્થિતિ1 જાંબુઆ રોડ પર બેસિલ સ્કૂલ નજીક વરસાદી ગટરનું તૂટેલું ઢાંકણું હતું. આ ઘટના બાદ તાત્કાલિક બદલ્યું છે.2 માંજલપુર ઈવા મોલ ચાર રસ્તા પાસે છેલ્લા 15 દિવસથી ખાડો ખોદવામાં આવ્યો છે, જેની આસપાસ માત્ર ભયસૂચક પટ્ટી લગાવીને સંતોષ માન્યો છે.3 માંજલપુર બાહુબલી સર્કલથી વડસર બ્રિજ તરફ રોડ વાઈડનિંગની કામગીરીમાં વરસાદી ગટરના ચેમ્બર પર પાટિયું મૂકવામાં આવ્યું છે.
બઢતી સહિતની માગણી ન સંતોષાતા નિર્ણય:RTOના ટેકનિક્લ ઑફિસર ઍસો.ની હડતાળની ચીમકી
વર્ષ 2013માં ભરતી થનારા આરટીઓ ઇન્સ્પેક્ટરોને 12 વર્ષ પૂર્ણ હોવા છતાં પ્રમોશન અપાયાં નથી. સર્વિસમાં 5 વર્ષનો અનુભવ ધરાવતા અધિકારીઓ પ્રમોશન મેળવવા માટે લાયક ગણાય છે, છતાં 12 વર્ષ પછી પણ બઢતીનો લાભ મળતો નથી. આરટીઓના ટેક્નિકલ ઑફિસર ઍસોસિયેશન દ્વારા વાહન વ્યવહાર વિભાગને આ મુદ્દે પત્ર લખાયો છે. પત્રમાં લખેલી માગણીઓને સ્વીકારવામાં નહીં આવે તો હડતાળ પાડીને કામગીરી બંધ કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે. માગણીઓ અંગે માર્ચ, 2025માં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી ત્યારે ખાતરી અપાઈ હતી કે તમામ માગણીઓ તાત્કાલિક ધોરણે માની લેવામાં આવશે. આ બેઠક થયાને 9 મહિનાનો સમય વીતી ગયા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જે અધિકારીઓ બઢતી મેળવવા માટે સક્ષમ થયા હોય તેઓની હજુ સુધી પરીક્ષા લેવાઈ નથી. 25 એઆરટીઓ પ્રમોશન માટે લાયક થયા છે તેઓની વિભાગીય પરીક્ષા લેવાઈ છે પણ બઢતી અપાઈ નથી. આ વર્ષે માર્ચમાં ટેકનિક્લ અધિકારીઓએ 2 દિવસ સુધી કામગીરી બંધ રાખી હતી. તેના કારણે અમદાવાદ સહિત રાજ્યભરના લોકોને હેરાનગતિ થઈ હતી. જેની નોંધ લઈને વાહન વ્યવહાર વિભાગના વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ટેકનિક્લ ઑફિસર સાથે મીટિંગ કરી હતી. અને મૌખિક બાંહેધરી આપવામાં આવી હતી કે જલ્દીથી માગણી માની લેવામાં આવશે. ત્યાર બાદ માગણીઓ ન મનાતાં સપ્ટેમ્બર, 2025માં ફરીથી ઉચ્ચ અધિકારીને મળીને માગણીઓ અંગે યાદ અપાવી હતી. જોકે તે બાદ પણ કોઈ કાર્યવાહી કરવામા આવી નથી.
નોકરી ન્યૂઝ:મદદનીશ ગ્રંથપાલની 100 જગ્યા પર ભરતી માટે 30મી સુધી ઓનલાઇન અરજી કરી શકાશે
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ હેઠળના ગ્રંથાય નિયામક હસ્તકના મદદનીષ ગ્રંથપાલની 100 જગ્યા પર ભરતી જાહેર કરી છે. ઉમેદવારો 30 ડિસેમ્બર સુધી ઓજસ વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરી શકશે. અરજી કરનારા ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 36 વર્ષથી વધારે ન હોવી જોઇએ. પરંતુ સરકારના નિયમ પ્રમાણે અનામત કેટેગેરીના ઉમેદવારોને ઉંમર મર્યાદામાં છુટછાટ મળશે. ભરતી બાદ ઉમેદવારોનો પગાર 26 હજાર રહેશે. અરજી કરનાર ઉમેદવારે લાઇબ્રેરી સાયન્સ અથવા તેની સમકક્ષ સ્નાતકની ડિગ્રી મેળવેલી હોવી જોઇએ. ઉમેદવાર ગુજરાતી અને હિન્દી ભાષાનો જાણકાર હોવો જરૂરી છે. MCQથી પરીક્ષા લેવાશેMCQ આધારીત કમ્પ્યુટર બેઇઝ્ડ ટેસ્ટ લેવાશે. જેમાં તાર્કિંક કસોટીઓ, ગાણિતિક કસોટી, ભારતીય બંધારણ, કરન્ટ અફેર્સ સહિતના વિષયો રહેશે.
સન્ડે ફોટો સ્ટોરી:દારૂનું ‘વેરહાઉસ’
થર્ટી ફર્સ્ટ પહેલાં ગોરવા-કરોડિયા કેનાલ રોડ રમેશ નગરમાં દારૂનો અડ્ડો ધમધમતો થયો છે. દારૂબંધીના દંભ વચ્ચે ભ્રષ્ટ પોલીસ તંત્રના પાપે ખુલ્લેઆમ દારૂનો અડ્ડો ચાલે છે. રસિયાઓ માગે તે બ્રાન્ડનો દારૂ વેચવા બૂટલેગરના માણસો તૈયાર હોય છે. પોલીસની કડક કામગીરીની વાતોને પોકળ સાબિત કરનાર બૂટલેગરોને બિન્ધાસ્ત રીતે અડ્ડો ચલાવે છે. જ્યારે બૂટલેગરે પોલીસ અને લોકો પર નજર રાખવા સીસીટીવી લગાવ્યા છે. ભાસ્કરે કરેલા સ્ટિંગ ઓપરેશનમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ અડ્ડો બૂટલેગર ખાલીદ ચલાવતો હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે અડ્ડામાં ફ્રિજ મૂકી ગ્રાહકોને ઠંડી બિયર પિરસાય છે. બારીમાંથી દારૂની બોટલો અપાય છેરાજ્ય બહારના દારૂના અડ્ડાની જેમ જ અહીં દારૂ આપવા માટે બારી બનાવાઈ છે. અડ્ડા પર પહોંચો ત્યારે કઈ બ્રાન્ડનો દારૂ જોઈએ છે, તેમ પૂછી બારીમાંથી બોટલ અપાય છે. ગલી બહાર પન્ટરો ખુરશીમાં બેસી લોકો પર નજર રાખે છેરમેશ નગરની બાજુ મોટું મેદાન છે, ત્યાં કેટલાક લોકો ખુરશી નાખીને બેસી રહે છે અને આવતા-જતા લોકો પર નજર રાખે છે. અડ્ડા બહારની ગલી પાસે એક ગલ્લો છે, જે ગ્રાહકોને અંદર જવા માટે કહે છે. આયોજનબદ્ધ રીતે પોલીસના નાક નીચે દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે. દારૂના ગોડાઉનમાં જ ભોંયરું, છોટા હાથીથી વધુ ક્ષમતાનો વિદેશી દારૂ ભરાય એટલી જગ્યા?દારૂના અડ્ડામાં ભોંયરું પણ હોવાનું જાણવા મળ્યું હતું. તેમાં એક છોટા હાથીથી વધુનો દારૂ ભરાઈ શકે તેટલી જગ્યા હોવાનું તેમ સૂત્રોએ કહ્યું હતું. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો હકીકત સામે આવી શકે છે.
ભાવનગર શહેરમાં છેલ્લા લાંબા સમયથી સિટી બસ સુવિધા બંધ હાલતમાં હોય શહેરીજનોએ નાછૂટકે રિક્ષામાં મુસાફરી કરવી પડી રહી છે. ત્યારે શહેરીજનો માટે રાહતના અને ખુશીના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ભાવનગર શહેરને જે 100 EV બસ ફાળવવામાં આવી છે તે પૈકીની 40 બસ નવા વર્ષથી કમૂરતા બાદ દોડતી કરવાનો નિર્ણય લેવાયો છે. જે પૈકીની 10 બસ ભાવનગરના નવનિર્મિત ડેપો પર આવી પહોંચી છે. EV બસ માટે 24 કરોડના ખર્ચે અત્યાધુનિક ડેપો તૈયારશહેરના ટોપ થ્રી સર્કલ પાસે 24 કરોડના ખર્ચે તૈયાર થયેલા અત્યાધુનિક ઈલેક્ટ્રિક બસ ડેપો ખાતે બસો આવી પહોંચતા મેયર ભરતભાઈ બારડ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડીયાએ મુલાકાત લીધી હતી, આ તકે તેમણે જણાવ્યું હતું કે, અન્ય 30 બસો પણ ટૂંક સમયમાં આવી જશે, જેનાથી કુલ 40 બસોનો કાફલો કાર્યરત થશે. બસની મુખ્ય વિશેષતાઓ અને સુવિધાઓઆ નવી ઈલેક્ટ્રિક બસો મુસાફરો માટે આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ કરાવશે. સંપૂર્ણ એસી અને હાઈટેક તમામ બસો સંપૂર્ણપણે એરકન્ડિશન્ડ છે. બસમાં કેપેસિટી 25 મુસાફરોની બેસવાની ક્ષમતા, સુરક્ષા માટે બસમાં 4 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, દિવ્યાંગો માટે ટ્રાયસિકલ સાથે ચડવા માટેની ખાસ વ્યવસ્થા, ઓટોમેટિક દરવાજા અને મુસાફરો માટે સ્પેશિયલ હેન્ડલ્સ, આ બસ મહત્તમ 75 કિમી/કલાકની ઝડપે દોડી શકશે. 13 વોર્ડના અલગ અલગ 17 રૂટ પર બસ દોડાવાશેશહેર 13 વોર્ડમાં ના અલગ-અલગ 17 રૂટ પર આ બસો દોડાવવાનું આયોજન છે, અંદાજે 28 કિમીની પેરીફેરીમાં આ સેવાનો લાભ મળશે, મુસાફરોની સુવિધા માટે શહેરમાં 150 જેટલા નવા પીકઅપ બસ સ્ટેન્ડ પણ બનાવવામાં આવશે, અત્યારે ડિસેમ્બર એન્ડ ચાલી રહ્યો છે, RTO પાસિંગનું કામ ઝડપથી પૂર્ણ કરી, કમૂર્તા પૂર્ણ થયા બાદ તુરંત જ મેયર સાથે પરામર્શ કરી લોકો માટે આ સુવિધાનો શુભારંભ કરવામાં આવશે. બસ સેવાથી રિક્ષા ભાડામાંથી મુક્તિ મળશે - મેયર ભાવનગર મહાનગરપાલિકાના મેયર ભરત બારડએ જણાવ્યું હતું કે, ભાવનગર મહાનગરપાલિકામાં કેન્દ્ર સરકાર દ્વારા PM-eBus સેવા અંતર્ગત મિની ઇલેક્ટ્રિક AC બસો આવી રહી છે આજે 10 બસો આવી ગઈ છે. 30 બસ પણ ટૂંક સમયમાં આવી જશે. ભાવનગરનું અહોભાગ્ય છે કે ઘણા વર્ષો પછી અમને જશ મળશે તેવું કામ થઈ રહ્યું છે આ માટે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું,ભાવનગરના લોકોને આ બસ સેવાથી રિક્ષા ભાડામાંથી મુક્તિ મળશે, તેનો મને ખૂબ જ આનંદ છે. 40 બસો ભાવનગરને પહેલા તબક્કાની અંદર ડિલિવરી આપીભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને મિશન સાથે સમગ્ર દેશ ગતિશીલ બની રહ્યો છે ત્યારે, દેશની અંદર પર્યાવરણ અને પરિવહનને ધ્યાનમાં રાખીને અનેક રાજ્યોમાં 'PM e-Bus' સેવાઓ શરૂ કરવાના શુભ આશયથી ગુજરાત રાજ્યમાં ભાવનગર મહાનગરપાલિકામાં આજે 40 બસો ભાવનગરને પહેલા તબક્કાની અંદર ડિલિવરી આપી છે, જેમાંથી 10 બસો અત્યારે આપ જોઈ રહ્યા છો તે સ્થળ ઉપર આવી ગઈ છે અને 30 બસો ઓન-વે છે, જે બે-ત્રણ દિવસમાં મળી જશે. ગુજરાતમાં સૌથી પહેલો બસ ડેપો તૈયારઆ સાથે ભાવનગરમાં જે બસ ડેપો બનાવવામાં આવ્યો છે તે 24 કરોડના ખર્ચે ગુજરાતમાં સૌથી પહેલો બસ ડેપો તૈયાર કરી, આજે અમને ગૌરવ છે કે મેયરના નેતૃત્વમાં આ પહેલો ડેપો અને બસ ડિલિવરી મેળવવાની તક મળી છે, સાથે સાથે 14 કરોડના ખર્ચે ઓપરેશન અને મેન્ટેનન્સ માટે, ડ્રાઈવર-કંડક્ટરો માટે પણ મંજૂરી આગામી 31 તારીખની સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવશે, ભાવનગરને 17 રૂટ ઉપર અલગ અલગ જગ્યાએ પ્રાથમિક ધોરણે રૂટો નક્કી કર્યા છે, લોકોને 28 કિલોમીટરની પેરીફેરીમાં આ બસની સુવિધાઓ મળવાની છે.
કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહ આજે એક દિવસીય ગુજરાત પ્રવાસે છે. પ્રવાસ દરમિયાન તેઓ વિશ્વ ઉમિયા ધામમાં આયોજિત પાટીદાર સમાજના યુવા બિઝનેસ મહાસંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે, જ્યાં દેશ-વિદેશના હજારો યુવા ઉદ્યોગસાહસિકો એક મંચ પર ભેગા થશે. આ ઉપરાંત સંસ્કાર ધામમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ 'નમોત્સવ'માં પણ હાજરી આપશે. દિવસભરના કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ તેમના હસ્તે થશે. દિવસભરમા અલગ-અલગ સાત કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. દેશ-વિદેશના પાટીદાર સમાજના 1 લાખ યુવા ઉદ્યોગસાહસિક જોડાશેઆજરોજ આત્મનિર્ભર ભારત અને ગામથી ગ્લોબલ અને વિલેજથી વિદેશના ઉદ્દેશ્યથી વિશ્વઉમિયાધામ ખાતે સમસ્ત પાટીદાર સમાજના યુવા મહાસંમેલનનું આયોજન કરાયું છે. જેમાં ગુજરાતના વિવિધ જિલ્લામાંથી લગભગ 20 હજારથી વધુ યુવા ઉદ્યોગસાહસિકો પધારશે. વિશ્વભરના સમસ્ત પાટીદાર સમાજના યુવાનોને એક પ્લેટફોર્મ પર બિઝનેસ કરવાના ઉદ્દેશ્ય સાથે VUF Business Network બનાવવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ પર પાટીદાર સમાજના 1 લાખ યુવા ઉદ્યોગસાહસિક જોડાશે. આ કાર્યક્રમમાં અમેરિકા- કેનેડા-બ્રિટન-ઓસ્ટ્રેલિયા-UAE (દુબઈ)-કેન્યા અને આફ્રિકાથી પાટીદાર બિઝનેસમેન આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉદ્ધાટક તરીકે પધારી રહ્યા છે. તો વળી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં VUF Business Networkની એપ્લિકેશનનું ગૃહમંત્રી અમિતભાઈ શાહ લોન્ચિંગ કરશે. ઉદ્યોગ, વેપાર અને સ્ટાર્ટઅપ્સને લગતા વિષયો પર માર્ગદર્શનયુવા ઉદ્યોગકારોને માર્ગદર્શન અને પ્રેરણા આપવા માટે આ મહાસંમેલન મહત્વપૂર્ણ બની રહેશે. કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી સહિત પાટીદાર સમાજના મંત્રીઓ અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે. મહાસંમેલન દરમિયાન ઉદ્યોગ, વેપાર અને સ્ટાર્ટઅપ્સને લગતા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે. વિશ્વ ઉમિયા ધામ ખાતે યોજાનાર આ યુવા બિઝનેસ મહાસંમેલન ગુજરાતના યુવા ઉદ્યોગકારો માટે નવી દિશા અને નવી તકો લઈને આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નમોત્સવમાં PM મોદીના જીવનદર્શનને સાંસ્કૃતિક રંગોમાં પરોવીને રજૂ કરાશેઆજરોજ PM મોદીના જીવનદર્શન તથા સંઘર્ષયાત્રા અને રાષ્ટ્ર નિર્માણના વિચારને ઉત્સવ સ્વરુપે ઊજવવામાં આવશે. કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ત્રણ દિવસ આયોજિત નમોત્સવમાં પણ હાજરી આપશે. ગુજરાતના વરિષ્ઠ સાહિત્યકાર અને લેખક સાંઈરામ દવે દ્વારા લેખિત નમોત્સવમાં 150થી વધુ કલાકારો સાથે PM મોદીના જીવનદર્શન સાંસ્કૃતિક રંગોમાં પરોવીને પ્રસ્તુત કરવામાં આવશે. S.G. હાઈ-વે પર પાયલોટ સ્ટ્રેચ વિકાસ કાર્યનું લોકાર્પણઆ ઉપરાંત અમદાવાદ શહેરના ટ્રાફિક અને શહેરી સૌંદર્યીકરણ માટે મહત્વપૂર્ણ એવા ઇસ્કોનથી પકવાન ચાર રસ્તા સુધીના રૂપિયા 4 કરોડના ખર્ચે ત્યાર થયેલા પાયલોટ સ્ટ્રેચ વિકાસ કાર્યનું લોકાર્પણ કરવામાં આવશે. આ પાયલોટ સ્ટ્રેચ અંતર્ગત ફૂટપાથ, સાયકલ ટ્રેક, સ્ટ્રીટ ફર્નિચર, લૅન્ડસ્કેપિંગ, લાઈટિંગ, સાઈનેજ તેમજ પેડેસ્ટ્રીઅન-ફ્રેન્ડલી ડિઝાઇન સાથે માર્ગને આધુનિક સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ માર્ગ વિકાસ પ્રોજેક્ટને ભવિષ્યમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ અમલમાં મૂકવા માટે મોડેલ તરીકે અપનાવવામાં આવશે. 8125 મીટર લંબાઇની કામગીરી માઇક્રોટનલીંગથી પૂર્ણસરદાર પટેલ રિંગ રોડ પર વૈષ્ણોદેવીથી ઓગણજ, શીલજ, આંબલી, એપલવુડ, શાંતિપુરા થઈને સનાથલ થઈને સાબરમતી નદી સુધી એશિયાની સૌપ્રથમ વખત માઈક્રો ટનલિંગ પદ્ધતિથી 2400- 2500 મીમી વ્યાસની વેસ્ટર્ન ટ્રંક લાઈન નાખવામાં આવી છે. પેકેજ 1થી પેકેજ 4ની કામગીરી પૂર્ણ થઈ છે, જેમાં 1200 એમ.એમ ડાયાની 9360 મીટર લંબાઇ 1800 એમ.એમ ડાયાની 10781 મીટર લંબાઈ તથા 2400- 2500 એમ એમ ડાયાની 7163 મીટર લંબાઈની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જે પૈકી 8125 મીટર લંબાઇની કામગીરી માઇક્રોટનલીંગથી પૂર્ણ કરવામાં આવી છે. ‘18થી 20 લાખની લોકોને ડ્રેનેજની સમસ્યામાંથી રાહત મળશે’ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનના વિસ્તારોમાં ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા અને ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની અને ગટરો બેક મારવાની સમસ્યામાંથી છૂટકારો મળશે. આ વિસ્તારોમાં પાણી, ગટર, સ્ટોર્મ વોટર લાઈન સહિતની પ્રાથમિક સુવિધા પૂરી પાડવાના ભાગરૂપે મેઈન ટૂંક લાઈનમાં ઉપરોક્ત તમામ વિસ્તારોનાં ગટરનાં પાણીનાં નિકાલ માટેની લાઈનોનાં જોડાણ કરી આપવામાં આવશે, જેના કારણે 18થી 20 લાખની લોકોને ડ્રેનેજની સમસ્યામાંથી રાહત મળશે. અમિત શાહ હસ્તે નવા વણઝર ગામના 308 ઘરોને સનદ અપાશેવણઝર ગામના લોકો માટે અગાઉ પૂર બાદ પુનર્વસાવટ કરાયેલા નવા વણઝર ગામમાં વસતા લોકોને વર્ષોથી સનદ ન મળવાના કારણે તેઓ પોતાની મિલકત વેચી શકતા નહોતા. લાંબા સમયથી ચાલતી આ સમસ્યાનો હવે અંત આવવા જઈ રહ્યો છે. આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત બાદ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે, જેના અંતર્ગત નવા વણઝર ગામના કુલ 308 ઘરોને સનદ આપવામાં આવશે. નવા વણઝર ગામ માટે આજનો દિવસ ઐતિહાસિકનવા વણઝર ગામના નાગરિકો વર્ષોથી સનદની રાહ જોઈ રહ્યા હતા. શરૂઆતમાં 239 ઘરોને સનદ ન મળવાના કારણે લોકો મુશ્કેલીમાં હતા, પરંતુ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વ પર વિશ્વાસ રાખી આ પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી. તેમણે જણાવ્યું કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને આ વિસ્તારના સાંસદ અમિત શાહ હોવાના કારણે કામગીરી ઝડપથી પૂર્ણ થઈ શકી. પરિણામે 239 નિવાસોની સનદ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવા વણઝર ગામની મુલાકાત લેશે અને લાભાર્થીઓને સનદનું વિતરણ કરશે. આ ક્ષણ નવા વણઝર ગામ માટે ઐતિહાસિક દિવસ સાબિત થશે.
દેશને સિટી કરતાં ગામડાંની પ્રતિભા જ સૌથી વધારે મેડલ અપાવી શકશે. હરિયાણાના 55 થી 56 ટકા ખેલાડીઓ દેશ મેડલ અપાવે છે.બાકી ગુજરાતને બધા ઓળખે છે કે તે શેના માટે જાણીતું છે. અમારા હરિયાણવીમાં કહેવાય છે કે, જાગુ સે લાગુ જ્યાદા હોતા હૈં.જો લાગુ કરી દેવામાં આવે તો સફળતા મળશે જ.ઓલિમ્પિકમાં મેડલ મેળવવા માટે નહીં ચેમ્પિયન બનવા માટેની તૈયારી કરો. આ શબ્દો એક એવા સફળ રેસલરના છે જેમણે અખાડાની માટીમાંથી નીકળીને લંડન ઓલમ્પિકના સ્ટેજ પર તિંરંગો લહેરાવ્યો હતો. જેમના માટે હાર એ માત્ર એક શબ્દ હતો અને સંઘર્ષ તેમનો સ્વભાવ હતો. જેમના લડાયક મૂડે દુનિયાના મોટા મોટા પહેલવાનોને ઘૂંટણીએ ટેકવી દીધા. હરિયાણાના શેર અને ભારતના ગૌરવ પદ્મશ્રી યોગેશ્વર દત્તના છે. કુસ્તીના અખાડાથી લઈને રાજનીતિમાં પ્રવેશ કરનાર યોગેશ્વર દત્ત અમદાવાદના મહેમાન બન્યાં છે. યોગાનું યોગ અમદાવાદને થોડા દિવસો પહેલાં જ કોમનવેલ્થ ગેમ્સની મહેજબાની મળી છે. ત્યારે કોમનવેલ્થ ગેમ્સથી લઈને આ ગેમ્સમાં કેવી રીતે ભારત વધારે સારી રીતે મેડલ મેળવી શકશે? આ માટે ખેલાડીઓ કેવી રીતે કમર કસવી પડશે? ભારત કેમ ઓલિમ્પિકમાં સારો દેખાવ નથી કરી શકતું. આવા અનેક પ્રશ્નોને લઈને દિવ્ય ભાસ્કરે એક્સક્લૂસિવ વાતચીત કરી હતી.વાંચો દિવ્ય ભાસ્કરના સવાલ અને પદ્મશ્રી યોગેશ્વર દત્તના જવાબ… સવાલઃ 2030માં જ્યાં કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે એ અમદાવાદમાં આવ્યાં છો સૌથી પહેલી પ્રતિક્રિયા શું છે ? જવાબઃ 2030ની કોમનવેલ્થ ભારતમાં યોજાવાની છે એમાં પણ ગુજરાત તેની યજમાની કરવાનું છે. એટલે સૌથી પહેલાં તો હું અમદાવાદના, ગુજરાતના અને દેશના તમામ લોકોને તેની શુભકામનાઓ આપવા માંગુ છું. જ્યારે 2030માં કોમનવેલ્થ આપણાં ત્યાં યોજાશે ત્યારે અમદાવાદના લોકોને એ લાઈવ સ્ટેડિયમમાં જઈને જોવાનો મોકો મળશે. એક રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે વિચાર છે કે 2030 પછી 2036ના ઓલિમ્પિકની યજમાની પણ ભારતને મળે. આ પણ એક અલગ જ અનુભવ હશે. જો 2036નો ઓલિમિપિક હિન્દુસ્તાનમાં યોજાશે તો ઈતિહાસ રચાશે કેમ કે કોમનવેલ્થ તો પહેલાં પણ દિલ્હીમાં યોજાઈ ચૂકી છે પણ ઓલિમિપિક ગેમ્સ પહેલી વાર યોજાશે. મારા માનવા પ્રમાણે ગુજરાતમાં પહેલી વાર કોમનવેલ્થ જેવી મોટી સ્પોર્ટસ ઈવેન્ટનું આયોજન થઈ રહ્યું છે. બીજી તરફ ખેલાડીઓ માટે પણ એક સારો મોકો છે કે આપણાં આંગણે થઈ રહેલી આ ગેમ્સમાં ઘરમાં સારું પ્રદર્શન કરીને દેશને મેડલ અપાવવું. સવાલઃ કોમનવેલ્થની યજમાની મળી પણ આ માટે કેવી તૈયારીઓ કરવી પડશે? ભારત સૌથી યુવા જન સંખ્યા ધરાવતો દેશ છે છત્તાં આપણે મેડલમાં જીતવામાં કેમ પાછળ છીએ? જવાબઃ જ્યાં સુધી કોમનવેલ્થ ગેમ્સની વાત છે તો તેમાં હિન્દુસ્તાન ત્રીજા કે ચોથા સ્થાન પર મેડલ મેળવવામાં હોય જ છે. જો ઓલિમ્પિકની વાત કરવામાં આવે તો આપણું પ્રદર્શન ઓવરઓલ એટલું સારું નથી રહ્યું. આમાં વાત જનસંખ્યાથી ન થઈ શકે. કેમ કે મેડલ જીતવા માટેની સ્ટેટ્રજી આખી અલગ રીતે જ હોય છે. બાકી તો આપણાં કરતાં પણ નાના નાના દેશો વધારે મેડલ જીતતાં હોય છે. અત્યાર સુધી આપણે આ બધી ગેમ્સ પ્રત્યેનો એવો વિચાર રાખ્યો જ નહોતો. ખેલાડીઓ પોતાના પરિવારના સપોર્ટના આધારે તનતોડ મહેનત કરતાં હતા અને સારું પ્રદર્શન કરતાં હતા. જ્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિન્દુસ્તાનની સત્તા સંભાળી છે ત્યારથી આ બાબતમાં ઘણો સુધારો આવ્યો છે. રિયો ઓલિમિપિકમાં આપણને બે જ મેડલ મળ્યાં એ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક બેઠક બોલાવી હતી. એ પછી ખેલાડીઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચો કરવાનો અને તેને સારામાં સારું પ્લેટફોર્મ અને તાલીમ મળે તેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી. આ જ મુખ્ય બાબતો છે જેના કારણે ખેલાડીઓ વધુ સારું પ્રદર્શન કરી શકે છે અને દેશને મેડલ અપાવી શકે છે. આપણાં હિન્દુસ્તાનના કોઈ પણ ખેલાડી એ પછી કુસ્તી, બોક્સિંગ, હોકી, બેડમિન્ટન, શૂટિંગમાં જોશો તો તેમણે વિશ્વ સ્તરે એક અલગ જ ઓળખ બનાવી છે. છેલ્લા ઓલિમિપિકમાં 20 માંથી 6માં જ આપણે મેડલ મેળવી શક્યાં હતા. કેટલાક ખેલાડીઓ તો એવા હતા જે ખૂબ જ ઓછા માર્કિંગથી હાર્યા હતા. જો એ લોકો જીત્યાં હોય તો 10 થી 12 જેટલા મેડલ ભારતના નામે હોત. પણ જ્યારે 2036માં ઓલિમિપિક યોજાશે ત્યારે હિન્દુસ્તાનનું સ્થાન ખૂબ જ શ્રેષ્ઠ નંબર પર હશે. સવાલઃ હાલમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર આપવામાં આવી રહ્યો છે એવી જ રીતે ખેલાડીઓ માટે કેવી સુવિધા હોવી જોઈએ જેથી આવનારા સમયમાં દેશને વધારે મેડલ મળી શકે? જવાબઃ જ્યાં સુધી 2030માં યોજાનાર કોમનવેલ્થ અને 2036માં યોજાનાર ઓલિમિપિકની વાત કરવામાં આવે તો..આ માટે આપણે સૌથી પહેલાં ગ્રાસરૂટ પર સૌથી મહેનત કરવી પડશે, આપણે જેટલી મહેનત ગ્રાસરૂટ પર કરીશું તો તેનું ચોક્કસથી પરિણામ મળશે. આજે જે બાળક 10 વર્ષનું હશે તો તે 2036 ઓલિમ્પિક સુધીમાં 20 થી 21 વર્ષનું થઈ જશે. એટલે આપણે 10 થી લઈને 15 વર્ષ સુધીના બાળકોમાં રહેલી પ્રતિભાને જોવાની છે. સામાન્ય રીતે ઓલિમ્પિકમાં 25 થી 26 વર્ષના ખેલાડીઓ સૌથી વધુ મેડલ જીતતાં હોય છે. આ માટે આપણે આજથી જ શરૂઆત કરવી પડશે. હું તો એટલું જ કહું છું કે એક સારા ખેલાડીએ મેડલ માટે નહીં પરંતુ ઓલિમ્પિક ચેમ્પિયન બનવા માટે તૈયારીઓ કરવી જોઈએ. જો આવું વિચારશો તો ચોક્કસથી ચેમ્પિયન બનીને પાછા ફરશો. આપણે અત્યારે ફોકસ ચેમ્પિયન કેવી રીતે થઈ શકાય તે બાબત પર કરવું જરૂરી છે. આ માટે શહેર કરતાં ગ્રામીણ ક્ષેત્રોમાં જવું પડશે અને એ ગામડાઓમાં રહેલાં ખેલાડીઓમાંથી આપણે ટેલેન્ટને શોધવું પડશે એ પછી તેમને તાલીમ આપીને આગળ વધારવા પડશે. દેશ ત્યારે જ મજબૂત બનશે જ્યારે આપણે આપણાં ટેલેન્ટને ઓળખી શકીશું. હરિયાણાના 55 થી 56 ટકા ખેલાડીઓ મેડલ અપાવે છે. બાકી ગુજરતને બધા ઓળખે છે કે તે શેના માટે જાણીતું છે. અહીં ખેલાડીઓની પ્રતિભાને શોધીને બિઝનેસમેનની સાથે સાથે તેમનો પણ તાલમેલ વધારવો જોઈએ કેમ કે અહીં ખેલાડીઓ માટે બાકી સ્ટેટ કરતાં ખૂબ જ સારી તક છે. બાકી સ્ટેટના ખેલાડીઓ ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે. જો એક એક સ્ટેટમાંથી સારી પ્રતિભાઓ તૈયાર થશે અને તેઓ 5 કે 10 મેડલ જીતશે તો વિચાર કરો હિન્દુસ્તાન પાસે કેટલા મેડલ આવશે. સવાલઃ લોકોમાં ક્રિકેટનો ક્રેઝ છે, બીજી તરફ તમારા જેવા ખેલાડીઓ રાત દિવસ મહેનત કરીને દેશને મેડલ અપાવતાં હોય છે લોકોએ કેવી રીતે પોતાનું થિકિંગ બદલવું જોઈએ જેથી ઓલિમ્પિકના ખેલાડીઓને પણ એટલું જ સન્માન મળે? જવાબઃ આજનો સમય એવો છે કે દરેક ગેમ્સમાં આપણાં ત્યાં ખેલાડીઓની ભરમાળ છે. એ વાત અલગ છે કે આપણે ઓલિમ્પિકમાં એટલા મેડલ નથી જીતી શક્યાં. પણ તમે કુસ્તીને જુઓ એમાં પણ હરિયાણાને જુઓ તો ખબર પડશે કે અહીં લાખો બાળકો રાત દિવસ કુસ્તી માટે મહેનત કરી રહ્યાં છે. મહારાષ્ટ્ર, પંજાબમાં પણ જુઓ તો બધી જ જગ્યાએ ખેલાડીઓ તન તોડ મહેનત કરી રહ્યાં છે. પણ ક્રિકેટની વાત અલગ છે પણ હું તો કહેવા માંગુ છું કે આપણી પાસે દરેક ગેમ્સના ખેલાડીઓની ભરમાળ છે. તેને આપણે ઓળખીને આગળ વધારવાનું છે. સવાલઃ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ખેલ મહાકુંભ શરૂ કરાવ્યો હતો જે બાદ ખેલો ઈન્ડિયા પણ શરૂ કરાવ્યું તેને કઈ રીતે જુઓ છો કેમ કે નાના ગામમાંથી પણ સારા સારા ખેલાડીઓ દેશને મળ્યાં છે. જવાબઃ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એક વાર ગુજરાતમાં યોજાઈ રહેલાં ખેલમહાકુંભમાં હું આવી ચૂક્યો છું. આ ખૂબ જ સારી બાબત છે આપણે અત્યારથી જ અહીંના બાળકોમાં એ ક્વોલિટી શોધવી પડશે. જેથી તે પહેલવાન બની શકે, બોક્સર બની શકે કે પછી અન્ય ગેમ્સમાં સારું પ્રદર્શન કરી શકે. કુલ મળીને છેલ્લે તો એજ લક્ષ્ય છે કે 2036માં તે પોતાના દેશ માટે ઓલિમ્પિકમાં પોતાની ભાગીદારી કરી શકે. જ્યારે આપણે કોઈ એક વસ્તુ પાછળ લાગી જઈએ છીએ તેમાં તન તોડ મહેનત કરીએ છીએ તો એ પછી કોઈ પણ વ્યક્તિ મેડલ જીતી શકે છે. સવાલઃ તનતોડ મહેનત કરનાર ખેલાડીઓ માટે આપનો ગુરુ મંત્ર શું છે? જવાબઃ દરેક ખેલાડીઓનો પોતાનો ટાર્ગેટ ફિક્સ હોય છે. હું તો જુનિયર ખેલાડીઓને એટલું જ કહેવા માંગુ છું કે, તમે તમારી સ્ટ્રેટજી અને ટ્રેનિંગ પ્રમાણે ચોક્કસથી ટાર્ગેટ ફિક્સ કરો પણ તેની સાથે સાથે ઓલિમ્પિકમાં મેડલ મેળવવાનો નહીં પરંતુ ઓલમ્પિક ચેમ્પિયન બનવાનો ટાર્ગેટ રાખજો. આ માટે તમારે રાત દિવસ મહેનત કરવી પડે તો મહેનત કરો, તમારું બઘું જ તેની પાછળ લગાવી દો. આ બધાની વચ્ચે હંમેશા આપણે આપણાં મનમાં આપણો તિરંગો, આપણો દેશ આગળ રાખવો જોઈએ. બાકી મહેનતનું પરિણામ ભગવાન ચોક્કસથી આપે જ છે. સવાલઃ તમે તમારી એકેડમીમાં કેવી રીતે બાળકોને તૈયાર કરી રહ્યાં છો? જવાબઃ મારી રોહતકમાં રેસલિંગ એકેડમી છે. જ્યાં 100 થી વધુ બાળકો મારી પાસે છે. આમાં મોટા ભાગે જુનિયર ખેલાડીઓ છે. આજથી પાંચેક વર્ષ પહેલાં જ્યારે મેં આ એકેડમી શરૂ કરી ત્યારે ખૂબ જ નાના બાળકોને અમે તેમાં લીધા હતા. 7 થી 10 વર્ષના બાળકો આજે 15 થી 17 વર્ષના થઈ ગયા છે. અત્યાર સુધીમાં 7 થી 8 બાળકો એશિયા ચેમ્પિયન અને મેડલિસ્ટ બન્યાં છે. એટલે અમારો ટાર્ગેટ છે કે, આ બાળકો ઓલિમ્પિકમાં ચેમ્પિયન બને.
‘ભલે પધાર્યા’ કહી ઉત્સવપ્રિય ગુજરાતીઓ 2026ને આવકારવા થનગની રહ્યા છે. 2025ની ખરાબ યાદોને બાય બાય અને સારી યાદોને સંભારણા બનાવી 2026માં સાથે લઈ જવા માટે ગુજ્જુઓ તૈયાર છે. દરેક પ્રસંગ અને તહેવારને મોજથી માણતા આપણાં ગુજરાતીઓ નવું વર્ષ આવવાનું હોય ત્યારે કેમ બાકી રહી જાય.તો પછી...આ વર્ષે પણ ગરબા પ્રિય ગુજરાતીઓ ઈન્ટરનેશનલ ડીજેના તાલે વેસ્ટર્ન ડાન્સ મૂવ કરી ડોલશે ને નવા વર્ષને પાક્કી ગુજરાતની વાઈબ સાથે આવકારશે. ભારતના પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદથી લઈ ડાયમંડ સિટી સુરત સુધી સંસ્કારી નગરી વડોદરાથી લઈ રંગીલા રાજકોટ સુધી ભારતના સૌથી લાંબા દરિયાકાંઠે જેમ પાણી હિલોળા મારે છે તેમ નવા વર્ષને આવકારવા દરેક ગુજરાતીઓના મનમાં ઉત્સાહ, ઉમંગ હિલોળા મારી રહ્યા છે. ગુજરાતમાં સૌથી મોંઘા પાર્ટી પાસ અમદાવાદની ન્યુ ઈયર એવ 2026ના છે. જ્યાં 15 લોકોનું ગ્રુપ બેસી શકે તેવા પ્રીમિયમ ટેબલના પાસની કિંમત 5.90 લાખ રૂપિયા છે અને ત્યાં ભારતમાં ટોપ-3માં આવતા ડીજે ચેતસ પાર્ટી લવર્સને એન્જોય કરાવશે. તો રાજકોટ પણ નવા વર્ષને આવકારવા કંઇ પાછું નથી રહેવાનું. ત્યાં સૌથી મોંઘો પાસ 'એબિઝા ફેસ્ટ' પાર્ટીનો છે. જ્યાં 10 લોકોના સ્કાયડેક ટેબલનો ભાવ 1,15,191 રૂપિયા છે. આ પાર્ટીમાં યુક્રેનની ફેમસ DJ લેરા નોતા તેમજ DJ ટ્રાપેર્સ રાજકોટીયન્સને મોજ કરાવશે. સુરતમાં સૌથી મોંઘો પાસ 'ધ ફાઈનલ કોલ 4.0'નો છે. જ્યાં બિલિયોનર લોન્જમાં 6 લોકોના પ્રિમીયમ ટેબલના પાસનો ભાવ 19,999 રૂપિયા છે તો વડોદરામાં સૌથી મોંઘો પાસ 'ફ્યુઝુન ફેસ્ટ' પાર્ટીનો છે. જેમાં 5 લોકોના ગ્રુપની પાસની કિંમત 14,999 રૂપિયા છે, જેમાં ફૂડ અને ડ્રિંક સામેલ છે. ઢોકળાને ફાફડાની જ્યાફત માણતા ગુજ્જુઓ સાલસા ને સામ્બાના મૂવ સાથે ટિપિકલ ગુજરાતી સ્ટાઇલમાં નવા વર્ષને આવકારશે. તો આવો દિવ્ય ભાસ્કર પર જાણીએ ગુજરાતના ટોપ પાર્ટી વેન્યૂના સ્થળ, ત્યાં આવતા DJ અને પાસની કિંમત વિશે... દુનિયાના શહેરોને ઈર્ષ્યા કરાવવા અમદાવાદ રેડીઆવનારી કોમનવેલ્થનું યજમાન, વર્લ્ડનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, સાબરમતી રિવરફ્રન્ટ, દુનિયાને સાદગી અને અહિંસાનો સંદેશ આપનાર ગાંધીઆશ્રમ જ્યાં આવેલો છે તે આપણું અમદાવાદ થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં આજે દુનિયાના શહેરોને ઈર્ષ્યા કરાવવા રેડી છે. અમદાવાદમાં 30થી વધુ જગ્યાએ થર્ટી ફર્સ્ટની પાર્ટી199થી લઈને 5.90 લાખ રૂપિયા સુધીની કિંમતના પાસ તમામ વર્ગના લોકોને જલસો કરાવશે. અમદાવાદમાં એક, બે નહીં પણ 30થી પણ વધુ જગ્યાએ થર્ટી ફર્સ્ટની ગ્રાન્ડ પાર્ટીનું આયોજન થઈ રહ્યું છે. DJ ચેતસની પાર્ટીમાં પ્રીમિયમ ટેબલ પર બેસવા 5.90 લાખ ચૂકવવા પડશેઅમદાવાદમાં સૌથી મોંઘો પાસ ન્યૂ ઈયર એવ 2026નો છે જે કલબ O7, શેલામાં યોજાશે. જ્યાં ભારતમાં ટોપ-3માં આવતા DJ ચેતસ પાર્ટી એનિમલ્સને એન્જોય કરાવશે. જ્યાં એક સાથે 15 લોકોનું ગ્રુપ બેસી શકે તેવું પ્રીમિયમ ટેબલ હશે જેની કિંમત 5.90 લાખ રૂપિયા છે. આવા બે ટેબલ સ્ટેજની પાછળના ભાગમાં હશે. જ્યાં પ્રિમીયમ ફૂડ અને ડ્રિંક પાર્ટીમાં રોનક લાવી દેશે. પશ્ચિમ અમદાવાદમાં SP રિંગરોડની આસપાસ ફાર્મ-હોટેલમાં પાર્ટીઆ સાથે જ સનબર્ન, ટોમોરોલેન્ડ, ન્યૂ ઈયર એવ પાર્ટીમાં લોકો નવા વર્ષને આવકારશે. અમદાવાદમાં મોટાભાગની થર્ટી ફર્સ્ટની પાર્ટી પશ્ચિમ અમદાવાદમાં SP રિંગરોડની આસપાસ ફાર્મ-હોટેલમાં યોજાઈ રહી છે. સુરતમાં પ્રિમીયમ ટેબલના 19,999 રૂપિયાઅમદાવાદ બાદ સુરતમાં સૌથી વધુ 10 જગ્યાએ થર્ટી ફર્સ્ટની મોટી પાર્ટીના આયોજન થઈ રહ્યા છે. તેમાં સૌથી મોંઘો પાસ 'ધ ફાઈનલ કોલ 4.0'નો છે. જ્યાં બિલિયોનર લોન્જમાં 6 લોકોના પ્રિમીયમ ટેબલના પાસના ભાવ 19,999 રૂપિયા છે. જેમાં પ્રિમીયમ ફૂડ અને ડ્રિંકની સાથે બોલિવૂડ આર્ટીસ્ટને મળવાનો મોકો મળશે. અહીં DJ તક્ષિલ ધમાલ મચાવશે. સુરતમાં મોટા ભાગની પાર્ટીઓ વેસુ કે ડુમસ રોડ વિસ્તારમાં યોજાઈ રહી છે. આ સિવાય સુરતમાં 'વેવફાયર રિલોડેડ','ગ્રુવ ટુ હોરિઝોન' અને 'ન્યૂ ઇયર બિટ્સ 3.0' પાર્ટીમાં યુવાનો નવા વર્ષને આવકારશે. વડોદરામાં 5 લોકોના ગ્રુપના પાસની કિંમત 11,000 રૂપિયાવડોદરામાં આ વર્ષે 11 જગ્યાએ પાર્ટીમાં યુવાધન હિલોળે ચડશે. જેમાં સૌથી મોંઘો પાસ 'ફ્યુઝુન ફેસ્ટ' પાર્ટીનો છે. જેમાં 5 લોકોના ગ્રુપની પાસની કિંમત 14,999 રૂપિયા છે. જેમાં ફૂડ અને ડ્રિંક સામેલ છે. ત્યારબાદ 'બ્રેકિંગ ધ સાયલન્સ' પાર્ટીમાં 5 લોકોના ગ્રુપની પાસની કિંમત 11,000 રૂપિયા છે. જ્યાં DJ સાયરસ યુવાઓને નાચવા મજબૂર કરશે. આ સિવાય વડોદરામાં 'ઈલેક્ટ્રો ફેસ્ટ NYE,'લાસ્ટ ગોલ્ડન નાઈટ' અને 'ધ ગેસ્ટબી નાઈટ' સહિતની પાર્ટીમાં વર્ષ 2026ને આવકારવા માટે લોકો ઝૂમશે. રાજકોટમાં સ્કાયડેક ટેબલનો ભાવ 1,15,191 રૂપિયારાજકોટમાં 2025ને વિદાઈ આપવા માટે 5 જગ્યાએ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં સૌથી મોંઘો પાસ 'એબિઝા ફેસ્ટ' પાર્ટીનો છે. જ્યાં 10 લોકોના સ્કાયડેક ટેબલનો ભાવ 1,15,191 રૂપિયા છે. આ પાર્ટીમાં યુક્રેનની ફેમસ DJ લેરા નોતા તેમજ DJ ટ્રાપેર્સ રાજકોટવાસીઓને મોજ કરાવશે. જ્યારે 'ક્રિમસન વેવ પાર્ટી' પાર્ટીમાં કપલ વીઆઈપી સિટિંગ એટલે કે બે લોકોના પાસની કિંમત 5,499 રૂપિયા છે. રાજકોટમાં આ સિવાય 'ગ્રીસ લક્સ ફિએસ્ટા','ટવેલ્વ-ઓ-વન' અને 'લાસ્ટ નાઈટ' સહિતની પાર્ટીઓમાં લોકો મનમૂકીને આનંદ માણશે. 'ધુરંધર'ના ઘણા બધા લોકો ફેન્સ થઈ ગયા છે: DJ તરલDJ તરલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું છેલ્લા ત્રણ વર્ષથી મેરિયટની 'રેનેસાંસ હોટલ'માં જ છું. હું આ ફિલ્ડમાં 20 વર્ષથી છું. આ વર્ષે ટ્રેન્ડિંગ સોન્ગ અને મ્યુઝિક ઘણા છે. અત્યારે ખાસ કરીને 'ધુરંધર'ના ઘણા બધા લોકો ફેન્સ થઈ ગયા છે પણ ન્યૂ યરની પાર્ટીની વાત કરીએ તો લોકો મ્યુઝિક અને પાર્ટી એન્જોય કરવા આવતા હોય છે, તો બધા જ સોન્ગ જે આટલા સમયથી પોપ્યુલર છે એ બધા જ ટ્રેન્ડિંગમાં છે. ‘પાર્ટી થીમ 'સ્ટાર્સ એન્ડ ગેલેક્સીઝ'ને લઈ રિમિક્સ લોન્ચ કર્યું’અમારી ન્યૂ યર પાર્ટીની સ્પેશિયલ થીમ 'સ્ટાર્સ એન્ડ ગેલેક્સીઝ' છે. તો અમે તેને લઈને એક રિમિક્સ પણ લોન્ચ કર્યું છે. તો મેઈન થીમ ગેલેક્સી અને સ્ટાર્સ રહેશે. હું બોલિવૂડ અને ટેક્નોમાં સ્પેશિયલાઈઝ્ડ છું અને ન્યૂ યરની પાર્ટીમાં લોકો મેઈનલી વાઈબ અને મ્યુઝિક એન્જોય કરવા આવતા હોય છે. ‘એ દિલ હૈ મુશ્કિલ'નું એક સોન્ગ છે 'બ્રેકઅપ સોન્ગ', એમાં લોકો હેડફોન લગાવીને ડાન્સ કરે છે. ત્યારથી બધા જ ડીજે એવી રીતે કરતા થઈ ગયા છે. મુંબઈના DJ સોનલ અમદાવાદમાં પહેલીવાર પરફોર્મ કરશે: મિત મેઘાણી'લાસ્ટ લેપ'ના ઓર્ગેનાઈઝર મિત મેઘાણીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વર્ષે અમે ખૂબ જ શાનદાર પાર્ટીનું આયોજન કરી રહ્યા છીએ. આ પાર્ટી અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલા પ્રીમિયમ લોકેશન એસ.કે. ફાર્મ પર યોજાશે. આ ઈવેન્ટમાં આ વખતે મુંબઈના જાણીતા DJ સોનલ આવી રહ્યા છે. તેઓ અમદાવાદમાં પહેલીવાર પરફોર્મ કરશે. ‘6,999ના પાસમાં ટેબલ, સ્ટાફ સર્વિસ,રેડ બુલ એનર્જી ડ્રિંક મળશે’ટિકિટના ત્રણ વેરિઅન્ટ્સ રાખ્યા છે. ભાવ 299થી 6,999 સુધીના છે. આ ઉપરાંત એક ફેન પીટ પણ છે જેની કિંમત 449છે. 299વાળો પાસ જનરલ એક્સેસ માટે છે. 6,999માં ટેબલ સુવિધા મળશે, જેમાં સીટિંગ માટે ખુરશીઓ, સ્ટાફ સર્વિસ અને રેડ બુલ એનર્જી ડ્રિંક આપવામાં આવશે. 'લેટેસ્ટમાં ધુરંધરનો આખો આલ્બમ જ ટ્રેડિંગમાં છે'-DJ ધવલ ચૌહાણબોલિવૂડ DJ ધવલ ચૌહાણે જણાવ્યું હતું કે, હું છેલ્લા 12 વર્ષથી ડીજે છું. વિવેન્ઝા બાય ગોપી લોકેશન પર આ વખતે આવી રહ્યો છું. લેટેસ્ટમાં ધુરંધરનો આખો આલ્બમ જ ટ્રેડિંગમાં છે અને આખા આલ્બમનું મ્યુઝિક સરસ છે. રહેમાન ડકેટની એન્ટ્રી ટ્રેડિંગ પર છે તો તે મ્યુઝિક વધુ ટ્રેન્ડમાં છે. આ વર્ષે ફેસ્ટમાં genz કે 90sના લોકોને આકર્ષે એવું નથી હોતું. એ બધાને ધ્યાનમાં રાખીને હિન્દી, ગુજરાતી, અંગ્રેજી દરેક સોંગ પ્રેસેન્ટ કરવાના છીએ. ‘આખા ફાર્મમાં CCTV અને 35થી 40 બાઉન્સર્સ રહેશે’ફેન પીટ સ્ટેજની બિલકુલ નજીક રહેશે. ખાણી-પીણી માટે જાણીતી બ્રાન્ડ્સ સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે, જેમાં ડોમિનોઝ અને જાપાનીઝ ફૂડના કાઉન્ટર્સ પણ હશે. જો કે, ફૂડ ટિકિટમાં ઇન્ક્લુડેડ નથી, તે અલગથી ખરીદવું પડશે.પાર્કિંગ અને સિક્યુરિટી માટે સુરક્ષાની દ્રષ્ટિએ આખા ફાર્મમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે અને લગભગ 35થી 40 બાઉન્સર્સ રહેશે. અહીં સારી વાત એ છે કે દારૂ વગર પણ લોકો આટલા એન્ટરટેઈન થાય છે: DJ સોનલDJ સોનલે દિવ્ય ભાસ્કર સાથે ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી છે, પણ અહીં સારી વાત એ છે કે દારૂ વગર પણ લોકો આટલા એન્ટરટેઈન થાય છે, એવી બહુ ઓછી જગ્યાઓ હોય છે. સૌથી મોટી વાત એ કે તેઓ કલાકારોનું બહુ સન્માન કરે છે. મેં બીજી જગ્યાઓની સરખામણીમાં જોયું છે કે, કોઈ પણ કલાકાર હોય, તેનું ખૂબ જ વોર્મ વેલકમ કરે છે. તો ગુજરાતની આ વાત બહુ સારી છે. હું જેટલી પણ વાર ગુજરાત આવી છું, મારો શો હંમેશા સુપર સક્સેસફુલ રહ્યો છે. ક્લબ બેબીલોનમાં આ વખતે ‘બોલિવૂડ ટેકનો થીમ નાઈટ્સ': અવની બ્રહ્મભટ્ટક્લબ બેબીલોનમાં AGM એડમિન અવની બ્રહ્મભટ્ટએ જણાવ્યું હતું કે, ન્યુયરની પાર્ટીમાં અમે સ્પેશિયલી જેટલું પણ કરીએ છીએ, એ ખાસ અમારા મેમ્બર્સને ધ્યાનમાં રાખીને કરીએ છીએ. તો આ વર્ષે અમે પ્લાન કરી રહ્યા છીએ કે 'બોલિવૂડ ટેકનો થીમ નાઈટ્સ' કરીશું. ‘ઇલેક્ટ્રિફાઈડ પરફોર્મન્સ અને પાર્કિંગ ફ્રી રહેશે’'બોલિવૂડ ટેકનો થીમ નાઈટ્સ'માં ઇલેક્ટ્રિફાઈડ મ્યુઝિક રહેશે. એમાં DJ કાયરા આવવાના છે, જે સ્પેશિયલી ભોપાલથી આપણા ક્લબના મેમ્બર્સ અને તેમના ગેસ્ટ માટે આવવાના છે. ન્યુયર પાર્ટીમાં 2000થી 2500 સુધી લોકોની આવવાની શક્યતા છે. અમારે ત્યાં ઇલેક્ટ્રિફાઈડ પરફોર્મન્સ રહેશે અને પાર્કિંગ ફ્રી રહેશે. ‘110થી વધુ વાનગીઓ સાથેનું ગાલા ડિનર’ફૂડમાં 110થી વધુ વાનગીઓ સાથેનું ગાલા ડિનર અમે એન્ટ્રીમાં ઇન્ક્લુડ રાખેલું છે. ટિકિટની પ્રાઈસમાં બે કેટેગરી છે. જેમાં મેમ્બર કપલ માટે 3099, ગેસ્ટ કપલ માટે 4999 અને સ્ટેગ એન્ટ્રી 1599. સિક્યુરિટીને લઈને ઓલમોસ્ટ એરિયા એન્ડ એવરીથિંગ સાઉન્ડ્સ સેફર ફોર અસ. 20 ફીમેલ બાઉન્સર્સ જે અમારા પ્રિમાઈસીસના સ્ટાર્ટથી એન્ડ સુધી બધે જ એક-એક લોકો અલોકેટેડ રહેશે પોતાની રિસ્પોન્સિબિલિટીસ માટે. અમદાવાદમાં દરેક પો.સ્ટેશન વિસ્તારમાં 2 ચેકિંગ પોઇન્ટથર્ટી ફર્સ્ટને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે જેટલા ચેકિંગ પોઇન્ટ રહેશે. ખાસ કરીને સિંધુભવન રોડ અને એસજી હાઇવે પર પોલીસનો બંદોબસ્ત ગોઠવાશે. બંને રોડ પર પોલીસનું પેટ્રોલિંગ રહેશે. ઉપરાંત અલગ અલગ ટીમો ચેકિંગ કરશે. બ્રેથ એનેલાઇઝરથી ચેકિંગ કરાશે. તમામ JCP, DCP, ACP, PI અને PSI સહિતનો સ્ટાફ બંદોબસ્તમાં હાજર રહેશે. ટ્રાફિક પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત અલગ અલગ સ્થળ પર રહેશે. (GIF SOURCE: SOCIAL MEDIA, PASS PRICE; AS PER BOOK MY SHOW)
બીપી, ડાયાબિટીસ, શરદી-ઉધરસ.... આ એવા રોગ છે જે સામાન્ય રીતે ઘરે-ઘરે હોય છે. આવા રોગની ઘણી દવા તમારા ઘરમાં પણ ઉપયોગમાં લેવાતી હશે પણ તમારા ઘરમાં રહેલી આ દવા ક્યાંક નકલી તો નથી ને? આ સવાલ એટલા માટે પૂછવો પડી રહ્યો છે કેમ કે હમણાં થોડા દિવસો પહેલાં ઘણી એવી શંકાસ્પદ દવાઓ ઝડપાઇ છે જે દર્દીને સ્વસ્થ કરવાને બદલે વધુ બીમાર કરી શકે છે. આજની સન્ડે બિગ સ્ટોરીમાં જાણો કે આ શંકાસ્પદ દવાઓ કઇ છે અને તે કયા રોગમાં ઉપયોગમાં લેવાય છે. પુડ્ડચેરીમાંથી શંકાસ્પદ દવાઓ ઝડપાયા બાદ એલર્ટપુડ્ડુચેરી ડ્રગ્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ લાયસન્સ વગરના એક ગોડાઉનમાંથી 34 શંકાસ્પદ અથવા નકલી દવાના નમૂનાઓ જપ્ત કર્યા હતા. આ ઘટના બાદ તરત જ પુડ્ડુચેરી સરકારે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાને 1 ડિસેમ્બરે પત્ર લખ્યો હતો. જેમાં જણાવાયું હતું કે આ નકલી પરંતુ લોકપ્રિય દવાઓ બજારમાં વેચાઇ રહી હોઇ શકે છે. અધિકારીઓને તેમના વિસ્તારમાં આ દવાઓના જથ્થાની હેરફેર પર કડક તકેદારી રાખવાની વિનંતી કરી હતી. આ પત્ર સાથે જોડાયેલી યાદીમાં દેશમાં સૌથી વધુ વપરાતી કેટલીક દવાઓનો સમાવેશ થાય છે. જેમાં ડાયાબિટીસ, બીપી, સ્ત્રી રોગ, અસ્થમા, ચામડીની એલર્જી, શરદી ઉધરસ જેવી દવાઓ સામેલ છે. સરકારને મોડી જાણ થઇસૌથી ચોંકાવનારી બાબત એ છે કે જ્યારે આ દવાઓનો મોટો જથ્થો માર્કેટમાં વેચાઇ ગયો અને દર્દીઓ સુધી પહોંચી ગયો ત્યાર પછી સરકારી તંત્રને આ અંગે જાણ થઇ છે. ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળાં મારવા જેવો ઘાટ સર્જાયો છે. હાલમાં આ તમામ દવાઓને માર્કેટમાંથી પરત ખેંચવાનું શરૂ થયું છે પણ જે દર્દીઓએ આ દવાઓ લઇ લીધી હશે તેનું શું? આ મોટો સવાલ છે. દિવ્ય ભાસ્કરે આ દવાઓ કઇ કઇ છે તેનું લિસ્ટ મેળવ્યું હતું સાથે જ કયા રોગમાં તેનો ઉપયોગ થાય છે તે પણ જાણ્યું હતું. આમાં એવી દવાઓ હતી જે દરરોજ લેવી પડે છે. તેમાં પણ ડાયાબિટીસ અને બીપીના રોગની દવા સૌથી વધુ છે. જો આવી દવાનું સેવન કરી લેવામાં આવે તો મૂળ રોગ અટકતો નથી પણ નવા રોગનો સમાનો કરવો પડે તેવું બને એટલું જ નહીં આ શંકાસ્પદ દવાઓ ફેફસાં, કિડની, લીવર પર ગંભીર અસર કરી શકે છે. આ એલર્ટ બાદ રાજકોટમાં કેમિસ્ટ એસોસિએશન મેદાને આવ્યું છે અને મેડિકલ સ્ટોરના સંચાલકોને રાજકોટ બહારથી માલ ન ખરીદવાની સલાહ આપી છે. જો કોઇ સભ્ય કંપની ચેનલ સિવાય બહારગામથી કે અન્ય જગ્યાએથી ખરીદી કરશે તો તેની વિરૂદ્ધ પગલાં લેવાની ચીમકી પણ આપી છે સાથે જન જાગૃતિ કમિટિ બનાવી લોકોને અપીલ કરી છે કે નકલી દવાથી દૂર રહેવું. રાજકોટ કેમિસ્ટ એસોસિએશનનું આ પગલું એ સૂચવે છે કે માર્કેટમાં નકલી દવાઓ તો વેચાઇ જ રહી છે. કંપનીઓને પણ મુશ્કેલી પડે છેસ્વાભાવિક છે કે નવી-નવી દવાઓ શોધવા માટે જે દવા કંપનીઓ રિસર્ચ પાછળ લાખો-કરોડો રૂપિયા ખર્ચે છે તેને પણ નકલી દવાઓ વેચાય તે પોસાતું નથી. આ કંપનીઓ પણ નકલી દવાને ઓળખી કાઢવામાં મુશ્કેલી અનુભવી રહી છે. કેમિસ્ટ એસોસિએશન સભ્યો કહે છે કે નકલી દવાઓ એટલી હદે અસલી લાગે છે કે અમે પણ તેને આસાનીથી ઓળખી શકતા નથી. મેગ્નિફાઇંગ ગ્લાસથી જોઇએ ત્યારે સ્પેલિંગમાં મિસ્ટેક કે એવી બીજી ત્રૂટીઓને કારણે દવા નકલી હોવાનો ખ્યાલ આવે છે. સત્યેન પટેલ ગુજરાત કેમિસ્ટ એસોસિએશનના ઉપપ્રમુખ અને રાજકોટમાં રચાયેલી જન જાગૃતિ કમિટિના સભ્ય છે. દિવ્ય ભાસ્કરે શંકાસ્પદ દવાઓ વિશે તેમની પાસેથી વધુ વિગતો મેળવી હતી. નકલી દવાઓ માર્કેટમાં વેચાવા પાછળનું કારણ જણાવતા સત્યેન પટેલે કહ્યું કે, સામાન્ય નિયમ છે કે ડુપ્લિકેશન ત્યાં જ થાય જ્યાં કોઇપણ દવા કે વસ્તુનું વધુમાં વધુ વેચાણ થતું હોય, જેની વધુમાં વધુ માંગ હોય.' કિડની, લીવર જેવા અંગો પર આડઅસર થઇ શકે'રોગમાંથી સાજા થવા માટે અથવા તો રોગ આગળ વધતો અટકે તે માટે દવા આપવામાં આવતી હોય છે પણ નકલી દવાથી નુકસાન થાય છે. દવામાં જે જરૂરી કેમિકલ (કન્ટેન્ટ) હોય છે તે નકલી દવામાં હોતું નથી અથવા તો નગણ્ય માત્રામાં હોય છે. જેથી રોગને આગળ વધતો અટકાવાના બદલે કિડની, લીવર જેવા અંગો પર આડઅસર કરે છે અથવા અન્ય એવા અલગ અલગ રોગો તરફ લઇ જાય છે કે જેમાં માણસનું મોત પણ થઇ શકે છે.' નકલી દવાઓથી બચવા માટે લોકોએ શું-શું કરવું જોઇએ તેની સલાહ પણ સત્યેન પટેલે આપી. ફિક્સ મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવાની સલાહતેમના મતે, લોકોએ વધુ ધ્યાન રાખવું પડશે. જેમ આપણો શાકભાજીવાળો ફિક્સ હોય છે, સલૂનવાળો ફિક્સ હોય છે એ જ રીતે લોકોએ ફાર્મસીવાળા પણ ફિક્સ રાખવા જોઇએ. જેમ કોઇ પરિવાર માટે તેના ફેમિલી ડૉક્ટર મહત્વના હોય છે તેવી જ રીતે ફાર્માસિસ્ટ પણ અગત્યના છે અને તેને ફિક્સ રાખવા જોઇએ. ફિક્સ મેડિકલ સ્ટોરમાંથી જ દવાઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઇએ કે જેથી કરીને નકલી દવાઓ લોકો સુધી ન પહોંચે અને તેનો વપરાશ પણ ન થાય. દવાની ખરીદી પહેલાં ડૉક્ટર્સ પણ પેશન્ટને સમજાવે તે જરૂરી છે. આનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, ડૉક્ટરનું કામ રોગની ઓળખ કરવાનું અને દવા લખવાનું છે. ડૉક્ટર દવા લખી આપે પછી તેનો કોઇ રોલ હોતો નથી પણ અમે એવું ઇચ્છીએ છીએ કે હવે ડૉક્ટર્સ પેશન્ટને સમજાવે કે વધુ ડિસ્કાઉન્ટની લાલચમાં ન આવી જતા અને તમારા જૂના વિશ્વાસુ મેડિકલ સ્ટોરવાળા પાસેથી જ દવા લેવાનો આગ્રહ રાખજો. 'થોડા રૂપિયાના ફાયદા માટે જીવ જોખમમાં ન મૂકો''અમૂક ભ્રષ્ટાચારી લોકો આ નકલી દવાનો ધંધો કરી રહ્યા છે. લોકો ડિસ્કાઉન્ટની લાલચમાં ન જાય અને થોડા રૂપિયાના ફાયદા માટે પોતાનો જીવ જોખમમાં ન મૂકે એ માટે અમે જાગૃતિ લાવવા કમિટી બનાવી છે.સૌથી મોટી જોખમભરી વાત એ છે કે આવી શંકાસ્પદ કે નકલી દવાની કોઇ ઓળખ થઇ શકતી નથી.' તેમણે ડિસ્કાઉન્ટની વાતનું ઉદાહરણ પણ આપ્યું. લોકો નકલી દવા ઓળખી શકતા નથી'લોકો પાસે કોઇ એવા સાધનો કે લેબોરેટરી નથી જે આવી નકલી કે શંકાસ્પદ દવાઓની ઓળખ કરી શકે. દર્દી પાસે આવો સમય પણ નથી હોતો. સામાન્ય લોકો પાસે દવા વિશે વધારે જ્ઞાન નથી હોતું. આવી દવાઓ લેબોરેટરીમાં જાય પછી તેની ચકાસણી થયા બાદ જ ખબર પડે કે છે કે દવા અસલી છે કે નકલી છે પણ ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઇ ચૂક્યું હોય છે, આ દવા દર્દીના શરીરમાં જતી રહી હોય છે.' જે લોકો દવાની ઓનલાઇન ખરીદી કરતા હોય છે તેમણે પણ ચેતવા જેવું છે. તેમણે કહ્યું કે, ઓનલાઇન દવા ખરીદતા પહેલાં વિચારવા જેવું ખરું. દવાનું જે કંઇ તાપમાન હોય તે મેન્ટેન ન થતું હોય તેવું પણ બને. ઓનલાઇન વેચાતી દવા નકલી હોવાના દાખલા ભૂતકાળમાં પણ બની ચૂક્યા છે. એવું પણ બહાર આવેલું કે દવાની અંદર જે કેમિકલ હોય છે તેની અસર થતી નથી. 'માની લો કે ડાયાબિટીસ અને બીપીની દવામાં 16% માર્જિન છે તો કોઇ મેડિકલ સ્ટોરવાળા 20 થી 25% ડિસ્કાઉન્ટ કેવી રીતે આપી શકે? પોતાના ઘરના પૈસા નાખીને તો કોઇ વેચાણ ન કરે એ સામાન્ય સમજની વાત છે. લોકોએ વધુ ડિસ્કાઉન્ટની લાલચમાં આવ્યા વગર ખાસ વિચારવું જોઇએ કે મેડિકલ સ્ટોરવાળાને પોસાય કેવી રીતે? વધુ ડિસ્કાઉન્ટના બોર્ડ લાગ્યા હોય, લોભામણી જાહેરાત કરતા હોય તેનાથી ચેતવા જેવું ખરા.' અત્યારસુધીમાં રાજકોટમાં નકલી દવાઓની ફરિયાદો ઊઠી નહોતી પરંતુ છેલ્લા એકાદ વર્ષમાં નકલી દવાઓના ત્રણેક કિસ્સાઓથી ચિંતા વધી છે. બે માસ પહેલાં જ રાજકોટમાં પ્રેગનન્સી, દાંત-હાડકાની સર્જરી વગેરેમાં ઉપયોગમાં લેવાતી નકલી દવાઓનો જથ્થો જપ્ત થયો હતો. 300 ફાર્મા કંપનીઓએ QR કોડ લગાવ્યાહવે દેશની 300 જેટલી ટોચની ફાર્મા કંપનીઓએ પેકેજિંગ પર ક્યુઆર કોડ લગાડવાનું શરૂ કર્યું છે. જેથી સ્કેન કરવાથી દવા અસલી છે કે નકલી તેની જાણકારી મળી રહે. જો કે ગ્રાહકો આ રીતે સ્કેન કરીને દવાની ખરાઇ કરવામાં કેટલા જાગૃત છે તે અંગે પણ સવાલ ઉઠી રહ્યાં છે. આ જોતાં સરકાર પોતે નકલી દવાઓ બાબતે ગંભીરતાથી કડક કાર્યવાહી કરે તો જ તેનું ઉત્પાદન અને વેચાણ અટકી શકે તેમ છે.
આવતીકાલથી વાંચો નવી સિરીઝ, ‘માયાજાળ’:ગુજરાતમાં અંધશ્રદ્ધાના નામે થયેલા ખોફનાક ક્રાઇમની સત્યકથાઓ
કહે છે, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક પાતળી ભેદરેખા હોય છે. અત્યારના આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધાના નામે કેવી રીતે નિર્દોષ લોકો ઠગાઈ જાય છે, તે વિશે તમે ક્યારેય વિચાર્યું છે? વિકસિત અને સુશિક્ષિત ગણાતા ગુજરાતમાં પણ અંધવિશ્વાસને કારણે અવારનવાર કેટલાય ભયાનક અપરાધો થતા રહે છે, જેની સત્યકથા આપણી આંખો ખોલી દે એવી છે. આવા જ કેટલાક ખોફનાક અને વાસ્તવિક પ્રસંગો રજૂ કરવા અમે લાવી રહ્યા છીએ નવી ડેઇલી સિરીઝ 'માયાજાળ'. આવતીકાલે સોમવારથી શરૂ થતી આ પાંચ એપિસોડની સિરીઝમાં દરરોજ સવારે છ વાગ્યે એક નવી સત્યઘટના સામે આવશે. આ એવા ગુનાઓની વાત છે જ્યાં અંધશ્રદ્ધાને હથિયાર બનાવીને નિર્દોષ લોકો સાથે અન્યાય થયો, પરિવારો તબાહ થયા અને સમાજમાં ભય ફેલાયો. ક્યાંક કોઈ નિર્દોષ યુવતીએ પોતાની આબરૂ ગુમાવી, કોઇએ પૈસા તો કોઈએ જીવ ગુમાવ્યા, તો કોઈએ પોતાની જાતની જ બલિ ચડાવી દીધી. આ સિરીઝ માત્ર સનસનાટી ફેલાવવા માટે નથી, પરંતુ સમાજમાં જાગૃતિ લાવવા માટે છે. દરેક એપિસોડમાં પોલીસ તપાસ, કોર્ટના ચુકાદા અને પીડિતોની દર્દભરી વાત સાથે આ ગુનાઓની સંપૂર્ણ સત્યકથા રજૂ થશે. તમે જાણી શકશો કે કેવી રીતે સામાન્ય દેખાતા લોકો અંધશ્રદ્ધાના નામે ભયંકર અપરાધો આચરે છે. આ સિરીઝનો હેતુ એ છે કે સમાજમાંથી અંધવિશ્વાસને દૂર કરવામાં આવે અને લોકો જાગૃત બને. તર્કબુદ્ધિ અને વૈજ્ઞાનિક વિચારસરણીને પ્રોત્સાહન મળે તે માટે આવી સત્યકથાઓ સાંભળવી જરૂરી છે. જો તમે પણ માનો છો કે સમાજમાંથી અંધશ્રદ્ધાને જડમૂળથી ઉખાડવી જોઈએ, અને સત્યની શક્તિમાં વિશ્વાસ રાખો છો, તો સોમવારથી શુક્રવાર સુધી દરરોજ સવારે છ વાગ્યે 'માયાજાળ' વાંચવા-જોવાનું ચૂકશો નહીં. આ છે સત્યને સામે લાવવાનો સંકલ્પ!
ભાસ્કર ઈનસાઈડ:ગોધરા ખાતે અવધ એક્સપ્રેસ ટ્રેન શુક્રવારની શનિવારે સવારે આવી
ૉઉત્તર ભારતમાં પડી રહેલી કડાકાની ઠંડી અને ગાઢ ધુમ્મસની સીધી અસર હવે રેલ વ્યવહાર પર જોવા મળી રહી છે. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા ઉત્તર ભારત તરફથી આવતી અને મુંબઈ તરફ જતી અનેક ટ્રેનો પોતાના નિર્ધારિત સમય કરતાં કલાકો મોડી ચાલી રહી છે. શુક્રવારે રાત્રે 8 વાગ્યે ગોધરા આવતી અવધ એક્સપ્રેસ ટ્રેન છેક શનિવારે સવારે પહોંચતા મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા હતા. હાલ શિયાળાની ઋતુમાં ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહે છે, જેના કારણે રેલવેના પૈડાં થંભી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બરોનીથી બાંદ્રા તરફ જતી અવધ એક્સપ્રેસ શુક્રવારે રાત્રે 8:00 કલાકે ગોધરા સ્ટેશન પર આવવાની હતી,પરંતુ ગાઢ ધુમ્મસના કારણે આ ટ્રેન અંદાજે 12 કલાક જેટલી મોડી પડી હતી. આ ટ્રેન શનિવારે સવારે 8:55 કલાકે ગોધરા સ્ટેશન પર પહોંચી હતી.ટ્રેન 12 કલાક મોડી પડતા સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહેલા મુસાફરોની હાલત કફોડી બની હતી. ખાસ કરીને મુંબઈ તરફ જતા નોકરિયાત વર્ગ અને દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગોધરા ખાતે મુસાફરો અટવાયાઉત્તર ભારતમાં વધી રહેલા ઠંડીના પ્રકોપના કારણે ગાઢ ધુમ્મસ છવાયેલુ રહે છે. જેને પગલે ઉત્તર ભારતમાંથી આવતી સંખ્યાબંધ ટ્રેન તેના નિયત સમય કરતાં ઘણી મોડી આવતાં મુસાફરોને અટવાઇ જવાનો વારો આવે છે. અવધ એક્સપ્રેસ 12 કલાક મોડી આવતાં સંખ્યાબંધ મુસાફરો ગોધરાના રેલવે સ્ટેશને અટવાઇ પડ્યા હતાં.
અમદાવાદના વાસણા સ્થિત શ્રી અય્યપ્પા મંદિરે શનિવારે મંડલમ્ સમાપન દિવસ ઊંડા ભક્તિભાવ અને આધ્યાત્મિક ઉલ્લાસ સાથે ઉજવાયો હતો. ભગવાન ઐયપ્પાના ભક્તોએ 41 દિવસની પવિત્ર વ્રત સાધનાના સમાપન પ્રસંગે મોટી સંખ્યામાં મંદિર પરિસરમાં હાજરી આપી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ શુભ અવસરે પરંપરાગત રીતિ-રિવાજ મુજબ ઉષા પૂજા, વિશેષ હોમમ તેમજ પવિત્ર નેય્યાભિષેકમ વિધિ સંપન્ન કરવામાં આવી હતી. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી છવાઈ ગયું હતું. તત્વમસી વાદ્યાલય દ્વારા પરંપરાગત ચેન્ડમેલમની રજૂઆત કરાઈ હતી. મંડલમ સમાપન ઉત્સવે ભક્તોની શ્રદ્ધા, શિસ્ત અને સમર્પણને ફરી એકવાર ઉજાગર કરી આધ્યાત્મિક પ્રેરણા આપી હતી. વાસણાના ઐયપ્પા મંદિરે મંડલમ્ સમાપન ઉત્સવ ઉજવાયોતત્વમસી વાદ્યાલય દ્વારા પરંપરાગત ચેન્ડમેલમની રજૂઆત કરાઈ હતી. મંડલમ સમાપન ઉત્સવે ભક્તોની શ્રદ્ધા, શિસ્ત અને સમર્પણને ફરી એકવાર ઉજાગર કરી આધ્યાત્મિક પ્રેરણા આપી હતી.
ફરિયાદ:ગોધરાના અમદાવાદ રોડ પર અજાણ્યા ઇસમો વૃદ્ધની સોનાની વીંટી લઈ ફરાર
ગોધરાના અમદાવાદ રોડ પર મોપેડ ચાલક વૃદ્ધને અજાણ્યા ઇસમોએ આંતરીને તપાસવાના બહાને નજર ચૂકવીને સોનાની વિંટી લઈને ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવા પામી છે. ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલ ડબગરવાસમાં રહેતા રતિલાલ કાલીદાસ ડાબગર તા 19 ડિસેમ્બરે તેઓ બપોરે તેઓ શહેરના અમદાવાદ રોડ પર મોપેડ પર પસાર થઈ રહ્યા હતા. જે દરમ્યાન પેટ્રોલપંપની બાજુમાં બે અજાણ્યા ઈસમોએ મોપેડચાલક રતિલાલને ઊભા રાખ્યા હતા. જે બાદ બંને અજાણ્યા ઈસમોએ જણાવ્યું હતું કે તમારા મોપેડની ડીકી ચેક કરવાની છે. તેમ કહીને ડેકી ખોલાવી હતી. જે દરમ્યાન બંને ઇસમોની નજર રતિલાલે હાથમાં પહેરેલી સોનાની વિંટી પર પડતા કહ્યું હતું કે સોનુ ચાંદી પહેરીને બહાર નીકળવા પર પ્રતિબંધ છે. તેમ કહેતા રતિલાલે તેઓના હાથમાં રહેલી વિંટી બંને અજાણ્યા ઇસમોને ડીકીમાં મૂકવા આપી હતી, જે બાદ બંને અજાણ્યા ઈસમોએ જણાવ્યું હતું કે તમારી વિંટી ડીકીમાં મૂકી છે, જેને લઈને રતિલાલ ત્યાંથી નીકળી ગયા હતા, જે બાદ તેઓએ ઘરે આવીને ડીકીમાં તપાસ કરતા વિંટી મળી આવી ન હતી. આમ બંને અજાણ્યા ગઠિયા ઈસમોએ વૃદ્ધની નજર ચૂકવીને રૂા.16 હજારની સોનાની વિંટી લઈને ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે તા 26 ડિસેમ્બરે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મુસાફરોને હાલાકી:અમદાવાદ સહિતના શહેરોમાં ઇન્ડિગોની 57 ફ્લાઇટ રદ થઈ
ડોમેસ્ટિક એરલાઇન ઇન્ડિગોની રવિવારે વધુ 57 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. અમદાવાદ સહિતના શહેરોમાં ફ્લાઇટ્સ રદ થતા પેસેન્જરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એરલાઇનની વેબસાઇટના જણાવ્યા પ્રમાણે ખરાબ હવામાનના કારણે ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. એરલાઇન બે ફ્લાઇટ રદ થવા માટે ‘ઓપરેશનલ કારણો’ જણાવ્યા હતા જ્યારે અન્ય ફ્લાઇટ્સ ખરાબ હવામાનના કારણે રદ કરાઈ હોવાનું જણાવ્યું હતું. ગુડગાંવમાં હેડક્વાર્ટર ધરાવતી ઇન્ડિગોને આ મહિનાની શરૂઆતમાં હજારો ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી હતી. પાઇલટ્સની ડ્યુટીને લગતા ધારાધોરણોમાં ફેરફારને કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. રવિવારે અમદાવાદ ઉપરાંત ચંડીગઢ, મુંબઈ, હૈદરાબાદ, અમૃતસર, બેંગલુરુ, દિલ્હી, ગયા, કોલકાતા, ચેન્નઈ સહિતના શહેરોમાં ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. ‘ફૉગ વિન્ડો’ના કારણે ફ્લાઇટ્સ કેન્સલેશન વધુડીજીસીએ દ્વારા 10 ડિસેમ્બરથી 10 ફેબ્રુઆરી સુધીના ગાળાને ફૉગ વિન્ડો જાહેર કરવામાં આવ્યો છે. જેના કારણે આ ગાળામાં ખરાબ હવામાનના કારણે ફ્લાઇટ્સ રદ થવાનું પ્રમાણ વધારે રહે છે.
ગમખ્વાર અકસ્માત:જાલત પાસે ટ્રકે, લક્ઝરીને પાછળથી ટક્કર મારતાં પલટી : 1નું મોત, 21 ઘાયલ
દાહોદ તાલુકાના જાલત ગામ પાસે ઈન્દોર–અમદાવાદ હાઈવે પર આવેલી અવંતિકા હોટલ નજીક ટર્ન લેતી વખતે મધ્યપ્રદેશ પરિવહન નિગમની બસને પાછળથી આવતી ટ્રકે જોરદાર ટક્કર મારતા ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક મુસાફરનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે 21ને ઇજા પહોંચી હતી. MP પરિવહન નિગમની બસ જ્યારે જાલત પાસે હોટલ પર રોકાણ માટે મધ્યરાત્રે ટર્ન લઈ રહી હતી. ત્યારે પાછળથી આવતી ટ્રકે બસના પાછળના ભાગે જોરદાર ટક્કર મારતાં જ લક્ઝરી બસ પલટી મારી ગઈ હતી. બસ રોડ પર અંદાજે 10 ફૂટ સુધી ઘસડાઈ હતી. મુસાફરોની ચીચીયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. મુસાફરોની ચીસાચીસ સાંભળી લોકો મદદે દોડી આવ્યા હતા. બસમાં ફસાયેલાને બહાર કાઢ્યા હતાં. બસ નીચે દબાઈ જવાથી એક પેસેન્જરનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે બસમાં સવાર 21 મુસાફરોને ઈજા પહોંચી હતી. જેમાંથી કેટલાકને ગંભીર ઇજા પહોંચી હતી. તમામને 108 મારફતે દાહોદની ઝાયડસમાં ખસેડ્યા હતા. હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ટ્રક ચાલકની બેદરકારીથી અનેક પરિવારોની મુસાફરી માતમમાં ફેરવાઈ ગઈ હતી. દાહોદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણમાં લઈ માર્ગ પર જામ ન સર્જાય તે માટે બસ અને ટ્રકને રસ્તા પરથી હટાવી હાઈવેને ફરીથી પુનઃ ધમધમતો કર્યો હતો. શોધખોળ બાદ ભાઇ બસ નીચે દબાયેલો મળ્યો અમે ભૂરા ટાબરાથી બસમાં બેઠા હતા. બસ હાઈવે પરથી હોટલ પાસે વળી રહી હતી. ત્યારે પાછળથી ટ્રકે ટક્કર મારતા બસ પલટી મારી ગઈ હતી. ત્યારબાદ અમને કંઈ ખબર ન પડી. ભાઈ ન મળતા શોધખોળ કરતા તે બસની નીચે દબાયેલો મળ્યો હતો. અમે સૌ ઊંઘમાં હતા. અચાનક આ ભયાનક ઘટના બની હતી. મનીષભાઇ, મૃતક મુસાફરના ભાઇ ઊંઘમાં મુસાફરી દરમિયાન બસ પલટી અમે ઈન્દોરથી અમદાવાદ જતી લક્ઝરી બસમાં દાહોદ આવવા માટે રાતે સાડા 7 વાગે ટિકિટ લીધી હતી. બસ રાતે સવા 8 વાગે ઈન્દોરથી ઉપડી હતી. અમે ઉંઘમાં હતા ત્યારે આ અકસ્માત થયો હતો. અમને થોડી ઈજાઓ પહોંચી હતી. મેહુલ પંચાલ, મુસાફર અમે સૂતા હતા અને અવાજ સાથે બસ પલટીહું રાજગઢથી લક્ઝરી બસમાં બેઠો હતો. મુસાફરી દરમિયાન અમે બધા ઊંઘી રહ્યા હતા. અચાનક જોરદાર અવાજ બાદ બસ પલટી ગઈ હતી. મને વધુ ગંભીર ઇજાઓ નથી આવી. માત્ર છાતીમાં થોડું વાગ્યું છે. ફખરુદીનભાઇ, મુસાફર
ભાસ્કર નોલેજ:ભારતના પ્રથમ સાર્વ. આલ્કલાઈન વોટર એટીએમનો ગોધરામાં પ્રારંભ
ગોધરા પાલિકા અને નાસિકની પ્રથમેશ એન્ટરપ્રાઇઝના સહયોગથી ભારતનો સૌપ્રથમ ‘આલ્કલાઇન વોટર એટીએમ'' પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું હતું. જેમા નાસિકની પ્રથમેશ એન્ટરપ્રાઇઝે ગોધરા પાલિકા સાથે આલ્કલાઇન વોટર એમઓયુ કર્યાં છે. આ પ્રોજેક્ટ દ્વારા પાલિકાનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને ખૂબ જ ઓછા દરે શુદ્ધ અને સ્વાસ્થ્યવર્ધક આલ્કલાઇન પાણી પૂરું પાડવાનો છે. જે અંગે સંસ્થાના સીઈઓ હરીશ જૈને જણાવ્યું હતું કે, ભારતના પ્રથમ આલ્કલાઈન વોટર એટીએમનો પ્રારંભ ગોધરા ખાતે થયો છે. શહેરમાં કુલ 6 એટીએમ ઉભા કરવામાં આવ્યા છે. જ્યારે 2 મોબાઈલ એટીએમ વાહનો કાર્યરત કરવામાં આવ્યા છે. જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી શહેરીજનોને ઘરઆંગણે શુદ્ધ પાણી પહોચાડશે. કંપની અને પાલિકા દ્વારા પાણીના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. જેમા નાગરિકોને 1 રૂા.માં 500 મિલી, 5 રૂા.માં 4 લિટર, 10 રૂા.માં 8 લિટર અને કંપનીના એટીએમ કાર્ડ દ્વારા 25 રૂા.માં 20 લિટર પાણી મળશે. જે પાણી લોકો પોતાની બોટલમાં ભરી શકશે. જેનું ઉદ્ઘાટન ધારાસભ્યના હસ્તે કરાયુ હતું. આ પ્રસંગે પાલિકાના ચીફ ઓફિસર આર.એચ. પટેલ, પ્રમુખ જયેશભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ સુનિલભાઈ લાલવાણી સહિત સભ્યો હાજર રહ્યા હતા. આલ્કલાઇન વોટરએ એવું પાણી છે જેનો pH સ્તર સામાન્ય પીવાના પાણી કરતા વધારે હોય છેઆલ્કલાઇન વોટર (Alkaline Water) એ એવું પાણી છે જેનો pH સ્તર સામાન્ય પીવાના પાણી કરતા વધારે હોય છે. સામાન્ય રીતે પીવાનું પાણી 7 pH ધરાવે છે, જ્યારે આલ્કલાઇન વોટરનો pH 8 અથવા 9 હોય છે. જેથી તેની એસિડિટી ઓછી અને આલ્કલાઇન ગુણધર્મો વધુ હોય છે. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને બાયકાર્બોનેટ જેવા મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. જેથી ઘણા લોકો અને નિષ્ણાતો માને છે કે આ પાણી પીવાથી શરીરમાં વધારાના એસિડને ન્યુટ્રલાઈઝ કરવામાં મદદ કરે છે. એન્ટી-ઓક્સિડન્ટ ગુણો હોવાથી તે વધતી ઉંમરની અસરો ઘટાડવામાં મદદ કરી શકે છે. તેના પરમાણુઓ નાના હોવાથી શરીર તેને ઝડપથી શોષી લે છે, જેનાથી તમે વધુ હાઈડ્રેટેડ રહો છો. તે શરીરની ઈમ્યુનિટી વધારવામાં મદદરૂપ થઈ શકે છે. આલ્કલાઇન વોટર સ્વાસ્થ્ય માટે સારું હોઈ શકે છે, પરંતુ તે કોઈ જાદુઈ ઈલાજ નથી. જો તમને કિડનીની કોઈ સમસ્યા હોય, તો આ પાણીનો ઉપયોગ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે.
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ હેઠળ આવતા વડોદરા યાર્ડમાં રેલવે દ્વારા અનિવાર્ય કામગીરી માટે સૂચિત બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકને કારણે રતલામ મંડળ અને વડોદરા મંડળ વચ્ચે ચાલતી ટ્રેનોના શિડ્યુલ ખોરવાયા છે. જેની સૌથી મોટી અસર દાહોદ અને વડોદરા વચ્ચે દોડતી લોકપ્રિય મેમુ ટ્રેન પર પડી છે. રેલવે તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ આગામી 17 જાન્યુઆરી 2026 સુધી આ ટ્રેન વડોદરા મેઈન સ્ટેશન સુધી નહીં જાય જેના કારણે હજારો દૈનિક મુસાફરોને હાલાકી ભોગવવી પડશે. ટ્રેન સંખ્યા 69120 દાહોદ- વડોદરા મેમુ ટ્રેન 17 જાન્યુઆરી સુધી છાયાપુરી રેલવે સ્ટેશન પર જ ‘શોર્ટ ટર્મિનેટ’ કરવામાં આવશે. એટલે કે આ ટ્રેન દાહોદથી ઉપડીને માત્ર છાયાપુરી સુધી જ જશે અને ત્યાંથી વડોદરા મેઈન સ્ટેશન વચ્ચેનો તેનો રૂટ રદ રહેશે. તેવી જ રીતે પરતમાં ટ્રેન સંખ્યા 69119 વડોદરા-દાહોદ મેમુ ટ્રેન પણ વડોદરા મેઈન સ્ટેશનને બદલે છાયાપુરીથી જ ઉપડશે . એટલે કે તે શોર્ટ ઓરિજિનેટ કરાતા વડોદરાથી છાયાપુરી વચ્ચે આ ટ્રેન દોડશે નહીં. વડોદરા-દાહોદ મેમુ ટ્રેન આ પંથકના નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને નાના વેપારીઓ માટે લાઈફલાઈન સમાન છે. આ બ્લોકને કારણે લગભગ 20 દિવસ સુધી મુસાફરોએ છાયાપુરી સ્ટેશનથી વડોદરા શહેરના અન્ય વિસ્તારોમાં જવા માટે રિક્ષા કે અન્ય ખાનગી વાહનોનો આશરો લેવો પડશે. તેમના સમય અને નાણાં બંનેનો વ્યય થશે.
દાહોદ એપીએમસીની પ્રતિષ્ઠાભરી ચૂંટણીને બે મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી ચેરમેનની વરણી થઈ શકી નથી. સ્પષ્ટ બહુમતી હોવા છતાં માત્ર વહીવટી વિલંબ અને રાજકીય ગતિવિધિઓને કારણે માર્કેટયાર્ડમાં અસ્પષ્ટતા અને અસંતોષનો માહોલ સર્જાયો છે. ગત 17 ઓક્ટોબરે દાહોદ APMCની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ખેડૂત વિભાગની 10 બેઠકોમાંથી ભાજપ પ્રેરિત પેનલે 8 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી હતી. નિયમ મુજબ પરિણામો જાહેર થયાના ટૂંક સમયમાં જ ચેરમેનની ચૂંટણી યોજવી જોઈએ પરંતુ અહીં સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે. ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા અટકવા પાછળનું મુખ્ય કારણ દાહોદ નગરપાલિકાનો ઠરાવ છે. નિયમ મુજબ, નગર પાલિકાના એક ચૂંટાયેલા સભ્યને APMCના સભ્ય તરીકે મોકલવા માટે પાલિકાએ ઠરાવ કરવાનો હોય છે. સહકાર વિભાગ દ્વારા ત્રણ વખત પત્ર લખીને આ નામ મોકલવા જણાવાયું છે. ચર્ચાઈ રહ્યું છે કે, નગરપાલિકામાં ભાજપના જ બે જૂથો વચ્ચે ચાલી રહેલી ખેંચતાણને કારણે કોઈ એક નામ પર સંમતિ સધાતી નથી. સત્તાધીશોની મનમાની અને રાજકીય ઈશારે થઈ રહેલા વિલંબને કારણે વિસ્તારના ખેડૂતોનું હિત જોખમાઈ રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે નગરપાલિકા ક્યારે જાગશે અને ક્યારે આ ઠરાવ મોકલીને APMCને નવા ચેરમેન અપાવશે. નીતિગત, વહીવટી નિર્ણયોમાં વિલંબદાહોદ એપીએમસીમાં ચેરમેનની ચૂંટણી છેલ્લા બે મહિનાથી ન થતાં બજારની કામગીરી પર અસર પડી રહી છે. ચેરમેનના અભાવે નીતિગત અને વહીવટી નિર્ણયો ઠેલાઇ રહ્યા છે. બજાર વિકાસ સંબંધિત કામો, નવી સુવિધાઓ મંજૂર કરવી, મરામત કામગીરી, તેમજ ખેડૂતોને લગતી યોજનાઓ આગળ વધારવામાં અડચણ ઊભી થઈ છે.ચેરમેનની ચૂંટણી વહેલી તકે પૂર્ણ ન થાય તો એપીએમસીની સમગ્ર વ્યવસ્થા અને સ્થાનિક કૃષિ અર્થતંત્ર પર નકારાત્મક અસર થવાની શક્યતા છે.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:નવામુવાડાના ફળિયામાં અજવાળુ પહોંચ્યુ નથી : બાળકોનો દીવાના સહારે અભ્યાસ
યુનુસ દ્યંત્યાંલુણાવાડા થી માત્ર 4 કિલોમીટર ના અંતરે આવેલ નવા મુવાડા ગામના એક ફળીયાના રહેવાસીઓ આજે પણ આધુનિક યુગથી સેંકડો કિલોમીટર દૂર જીવન જીવી રહ્યા છે. કારણ, ગામના નાયક ફળીયામાં હજુ સુધી લાઇટનું અજવાળુ પહોંચ્યુ નથી. જેથી ફળીયાના બાળકો આજે પણ દિવાના અજવાળે અભ્યાસ કરવા મજબૂર છે. વીજળી, પાકા રસ્તા અને પીવાના પાણીની સુવિધા અહીંના રહીશો માટે માત્ર એક સ્વપ્ન જ બની રહી છે. મહીસાગર જિલ્લાના નવા મુવાડાના નાયક ફળીયા ખાતે આઝાદીના આટલા વર્ષો પછી પણ પાયાની સુવિધાઓ પહોંચી નથી. કેટલીક પેઢીઓ વીજળીના અભાવે લાઈટનો પ્રકાશ જોયા વિના પૂર્ણ થઈ ગઈ. છતાં હજુ સુધી વિકાસ ફળીયામાં પહોંચ્યો જ નથી. વીજળી, પાકા રસ્તા અને પીવાના પાણીની સુવિધા અહીંના ગ્રામજનો માટે માત્ર એક સ્વપ્ન જ બની રહી છે. નવા મુવાડા ગામના નાયક ફળીયામાં લાઇટ વગર 20 થી વધુ મકાનના રહીશો અંધારૂ ઉલેચી રહ્યા છે. વિજકંપની દ્વારા રહીશો પાસે લાઇટ કનેકશનના આધાર પુરાવા માંગ્યા હોવાનો દાવો એમજીવીસીએલ કરી રહ્યા છે. ત્યારે ગામના સરપંચ ફળીયાના રહીશોના તમામ કાગળીયા આપી દીધા હોવા છતાં લાઇટ કનેકશન આપતા નથી તેવો આક્ષેપ કરી રહ્યાં છે. વચ્ચે ફળીયાના બાળકોને આધુનીક યુગમાં લાઇટ વગર દિવામાં અભ્યાસ કરવાની નોબત આવી છે.MGVCL દ્વારા વીજળીની સુવિધા યુદ્ધના ધોરણે પૂરી પાડવામાં આવે. જો તંત્ર દ્વારા ટૂંક સમયમાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે, તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી રહીશોએ ઉચ્ચારી છે. રહેણાંકના પુરાવા આપતા નથીનવા મુવાડાના નાયક ફળીયામાં વર્ષોથી લાઇટ નથી. અમે સ્થળ મુલાકાત અગાઉ કરી હતી. રહીશો પાસે રહેણાંકના આધાર પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું. તેમ છતા આપ્યા ન હતા. જેથી અમે સરપંચને રહીશોના આધાર પુરાવા આપવા કીધા છતા હજુ સુધી આપ્યા નથી. આધાર પુરાવા આપે તો અમે લાઇટની સુવિધા કરી ઉભી કરીશું. રવિ માલિવાડ, અધીકારી, એમજીવીસીએલ વીજ કનેક્શન માટે રજૂઆતો કરી છેએમ જી વી.સી.એલને વીજ કનેક્શન માટે રજૂઆતો કરવા છતાં પ્રક્રિયા આગળ વધી નથી. નલ સે જલ યોજનાનું કામ પૂર્ણ થયું છે, પરંતુ વીજળીના અભાવે પાણીની મોટર ચાલતી નથી. ગ્રામજનોને માત્ર બે હેન્ડ પંપ પર નિર્ભર રહેવું પડે છે. ગામના વિકાસ માટે લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં આજદિન સુધી સુવિધાઓ મળી નથી. પટેલ હેમુ બેન હિતેષભાઇ. સરપંચ નવા મુવાડા ગામ
લૂંટની ઘટના:પીપલેજ પાટિયા પાસે ધોળે દિવસે લૂંટકરી ભાગી ગયેલા બે કોંઠબાથી ઝડપાયાં
છોટાઉદેપુર પોલીસ પીપલેજપાટીયા ખાતેથી ધોળે દિવસેબળજબરીથી કઢાવી લેવાનાગુનાનો ગણતરીના કલાકોમાં તમામ મુદ્દામાલ સાથે બેને મહીસાગર જિલ્લાના કોઠંબાખાતેથી પકડી પાડયા છે. જ્યારેએક ઈસમને પોલીસે પકડવાનાચક્રો ગતિમાન કર્યા છે. છોટાઉદેપુર એલસીબીછોટાઉદેપુર પોલીસ સ્ટેશનવિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.દરમિયાન રતનભાઈ બાવાભાઈરાઠવા રહે. મોરાગણા ,તા.ક્વાંટ , જી.છોટાઉદેપુરે 112માં ફોન કરી વર્ધી લખાવેલ કે,એક લાલ કલરની હુન્ડાઈ ઈયોનકાર નં.જીજે 03 ઈસી 3202 માંત્રણ અજાણ્યા ઈસમો પીપલેજપાટીયા રસ્તા પાસેથી સોનાનીવીંટી કિંમત રૂ.20,000,એકમોબાઈલ ફોન કિં.રૂ.5000 તથારોકડ રૂ.5000 બળજબરીથીકઢાવી લઈ નાસી ગયેલ હોય છે. હકીકત આધારે છોટાઉદેપુરકમાન્ડ એન્ડ કંટ્રોલ તેમજટેકનીકલ સપોર્ટ તેમજ હ્યુમનસોર્સી આધારે કોઠંબા(મહીસાગર) જનતા કોલોનીખાતેથી હ્યુન્ડાઈ ગાડી સાથે બેઈસમોને પકડી પાડ્યાં જેમાંરાજેશકુમાર ઉર્ફે લાડવો,ભીખાભાઈ પરમાર ,ઉમંર 28,રહે.કોઠંબા, જનતા કોલોની,તા.લૂણાવાડા, અને કર્ણનાથખાતુનાથ મદારી, ઉમંર 19,રહે.કોઠંબા, તા.લુણાવાડા,જિ.મહીસાગરની અટકાયત કરીકાર્યવાહી અર્થ છોટાઉદેપુરપોલીસ સ્ટેશને સોંપી કેસરનાથકાણનાથ મદારી,રહે.કોઠંબાનેપકડવાના ચક્રો પોલીસે ગતિમાનકર્યા છે. પોલીસે વીંટી, મોબાઈલફોન, તથા રોકડ સહિત હ્યુન્ડાઈગાડી સાથે કુલ રૂ.2,30,000 નોમુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.આ આરોપીઓ અગાઉ જુનાગઢતાલુકા પોલીસ સ્ટેશનમાં લુંટના ગુનામાં સંડોવાયેલા હોવાનુંજાણવા મળ્યું છે.
વેધર રિપોર્ટ:જેટ સ્ટ્રીમના કારણે શહેરમાં 12 કિમીની ઝડપે ઠંડો પવન ફૂંકાયો
શહેરમાં હાલ ઉત્તર-પૂર્વ દિશાના પવનો ફૂંકાવાનું શરૂ થયું છે. જેની સરેરાશ ગતિ આશરે 12 કિમી પ્રતિ કલાકની નોંધાઈ છે. આ કારણે લઘુતમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે. શહેરમાં શનિવારે મહત્તમ તાપમાન 27.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 15.1 ડિગ્રી નોંધાયું હતું હવામાન વિભાગની આગાહી મુજબ બે-ત્રણ દિવસમાં ઠંડા પવનનું જોર ઘટશે અને વાતાવરણ સૂકું રહેશે. સવાર-રાતના સમયે ઠંડીનો અહેસાસ વધશે. ભાસ્કર એક્સપર્ટ12 કિમીની ઊંચાઈએ વહેતા પવનને જેટ સ્ટ્રીમ કહે છેબે દિવસથી અનુભવાયેલા તેજ પવનો ‘જેટ સ્ટ્રીમ’ના કારણે હતા. જેટ સ્ટ્રીમ એટલે લગભગ 12 કિમી ઊંચાઈએ વહેતા પવનોનો સમૂહ, જેના કારણે જમીન સપાટી પર પવનનું જોર અનુભવાય છે. જેટ સ્ટ્રીમ અનિયમિત હોય છે. - ધીમંત વઘાસિયા, હવામાન નિષ્ણાત
પશ્ચિમ રેલવેએ 1 જાન્યુઆરીથી અમલમાં મૂકેલા નવા ટાઈમ ટેબલ મુજબ અમદાવાદની અનેક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અમદાવાદથી ઉપડતી અને અમદાવાદ ખાતે પૂરી થતી તથા અમદાવાદ થઈને જતી અનેક ટ્રેન હવે અગાઉની સરખામણીએ 5થી 7 મિનિટ વહેલી ઉપડશે. કેટલીક ટ્રેન સુરત અને વસઈ રોડના વ્યસ્ત સ્ટેશન પર 6થી માંડી 33 મિનિટ મોડી પહોંચશે. આ ફેરફારમાં શતાબ્દી, સુપરફાસ્ટ અને લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનોનો સમાવેશ થાય છે. અમદાવાદ–મુંબઈ ઉપરાંત ચેન્નઈ, પુરી, યશવંતપુર, નાગપુર, પ્રયાગરાજ, હાવડા તરફ જતી ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો છે. આ નવા ટાઈમ ટેબલથી ટ્રેક પર ટ્રાફિકનું દબાણ ઘટશે અને ટ્રેનોનું સમયપાલન સુધરશે. જ્યારે હાવડા-અમદાવાદ, આસોનલ-અમદાવાદ સહિતની બહારથી આવતી ટ્રેનો 5 મિનિટ વહેલી આવશે. અમદાવાદથી વહેલી ઉપડનાર ટ્રેનો 7 ટ્રેન 5 મિનિટ વહેલી અમદાવાદ આવશે 12834 હાવડા-અમદાવાદ, 19436 આસનસોલ-અમદાવાદ, 19484 સહરસા-અમદાવાદ, 22690 યશવંતપુર-અમદાવાદ, 20953 ચેન્નઈ-અમદાવાદ, 22927 બાંદ્રા-અમદાવાદ લોકશક્તિ, 12901 દાદર- અમદાવાદ ગુજરાત મેલનો સમાવેશ થાય છે.
મહિલા તરીકે વાત કરી સાઈબર ગઠિયાઓએ એક વૃદ્ધ ડોકટરને શેરબજારમાં રોકાણનું સમજાવી રૂ.63.95 લાખ પડાવ્યા હતા. 1 લાખના રોકાણ સામે એપ્લિકેશનમાં 13 દિવસમાં રૂ.50 હજાર પ્રોફિટ બતાવ્યો હતો. જ્યારે ડોક્ટરે પ્રોફિટના પૈસા માટે વિડ્રોની પ્રોસેસ કરતાં 30 મિનિટમાં તેમના ખાતામાં રૂ.50 હજાર આવી જતાં વિશ્વાસમાં આવેલા ડોક્ટરે 2 એપ્લિકેશનમાં 46.95 લાખ, 17.50 લાખ મળી રૂ.64.45 લાખનું રોકાણ કર્યું હતું. ઈસનપુર રાજધાની બંગ્લોઝમાં રહેતા ડો.સુનિલ ગુપ્તા (69) બાપુનગર ઈન્ડિયા કોલોની પાસે આંખની હોસ્પિટલ ધરાવે છે. દીપા રસીમાને તેમને એલકેપી ઈન્વેસ્ટમેન્ટ કંપનીનીની ઈન્વેસ્ટમેન્ટ આસિસન્ટની ઓળખ આપી કંપનીના ગ્રૂપમાં એડ કર્યા, અને શેરબજારમાં 46.95 લાખનું રોકાણ કરાવ્યું હતું. તેની સામે રૂ.2.83 કરોડ બેલેન્સ દેખાતું હતું. પૈસા વિડ્રો કરતા ખાતામાં 2.45 લાખ શેરનું રૂ.16.91 લાખ પેમેન્ટ ભરવાનું બાકી હોઇ, પૈસા ઉપાડવા ન દીધા. આ સમયે દિવ્યાંશી નામની યુવતીએ ફોન કરી સમજાવતા ડો.સુનિલે રૂ.17.50 લાખ ભર્યા, એપ્લિકેશનમાં 36.91 લાખ બેલેન્સ દેખાતું હતું. તેમાંથી પૈસા વિડ્રો કરતાં કરતા તેમને આઈપીઓ લાગ્યા હોવાથી 92 હજાર શેર એકાઉન્ટમાં આવ્યાનું કહી રૂ.21.04 લાખ ભરવા કહ્યું પણ શંકા જતાં ભર્યા ન હતા. 3 માસમાં 150 વૃદ્ધ પાસેથી રૂ.45 કરોડ પડાવ્યાછેલ્લા 3 મહિનામાં શેરબજારમાં રોકાણના બહાને સાઈબર ગઠિયાઓએ 150 વૃદ્ધો પાસે રૂ.45 કરોડ પડાવ્યા હતા. જેના આધારે દર 3 દિવસે 5 વૃદ્ધ શેર બજારમાં રોકાણના બહાને સાઈબર ગઠિયાને શિકાર બને છે. ભાસ્કર નોલેજનિવૃત્તિ બાદનું મોટું ફંડ, એકલતા-ટેક્નિકલ જાણકારીના અભાવે વૃદ્ધો જલ્દી ટાર્ગેટ બને છેસાઈબર ક્રાઈમ અધિકારી અનુસાર, સિનિયર સિટીઝનો પાસે પીએફ, ગ્રેજ્યુઈટી જેવાં ફંડની મોટી રકમ હોય છે. જેને ફિકસ ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડ, પોસ્ટ, પીપીએફમાં રોકે છે. મોટા ભાગની છેતરપિંડીમાં વૃધ્ધો એકલાં રહેતાં હોવાનું તારણ આવ્યું છે. વૃદ્ધો પાસે ટેકનિકલ જાણકારીનો અભાવ હોવાથી, નકલી વેબ સાઈટ કે એપ્લિકેશનને ઓળખી શકતા નથી. જેથી વૃદ્ધો ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડનો વધુ શિકાર બને છે.
શુભારંભ:મોરબીમાં રાજ્યભરમાંથી આવેલા સ્પર્ધકોએ કરાવ્યા ભાતીગળ સંસ્કૃતિના સુંદર દર્શન
યુવાનોમાં રહેલી સુશુપ્ત શક્તિઓને બહાર લાવવા રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અગાઉ જિલ્લા અને ઝોન કક્ષાની સ્પર્ધાનાં આયોજન બાદ હાલ રાજ્યકક્ષાનો યુવા મહોત્સવ ૨૦૨૫-૨૬ મોરબીના આંગણે યોજાયો છે, ત્યારે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીએ આ આયોજનના પ્રથમ દિવસે લોકનૃત્ય અને લોકગીત સહિત રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે એવી ૫ (પાંચ) સ્પર્ધાઓનો ભાગ - ૧ માં શુભારંભ કરાવ્યો હતો. મોરબીમાં ગ્લોબલ વેદાંત સ્કૂલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ધારાસભ્ય દુર્લભજી દેથરીયા પ્રેરક ઉપસ્થિતિ રહ્યા હતા.ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા સ્પર્ધકોએ વર્ષોથી ગુજરાતની સંસ્કૃતિનું ઘરેણું બનેલા લોકગીતો રજૂ કર્યા હતા અને મણીયારો, ટિપ્પણી અને આદિવાસીઓના નૃત્ય સહિતના લોક નૃત્ય રજૂ કર્યા હતા. હંસાબેન સહિતના મહાનુભાવોએ આ કૃતિઓ નિહાળી હતી અને સ્પર્ધકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી જણાવ્યું હતું કે, બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તે માટેના આ પ્રકારના સરકારના આયોજન ખરેખર પ્રેરણાદાયી છે. મોરબીમાં આવું શ્રેષ્ઠ આયોજન થયું છે ત્યારે આ કળા પ્રદર્શનો અહીંના બાળકો અને યુવાઓને પ્રોત્સાહન પૂરું પાડશે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કલા મહાકુંભ, યુવા મહોત્સવ, વાંચશે ગુજરાત, રમશે ગુજરાત, ખેલ મહાકુંભ સહિતના આયોજન થકી બાળકોમાં રહેલી વિવિધ કળાઓ અને કૌશલ્ય બહાર આવી છે. આજે મોબાઈલ યુગ અને પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણથી જૂની રમતો, આપણી ભાતીગળ સંસ્કૃતિ વિસરાતી જાય છે ત્યારે આ પ્રકારના આયોજનો આપણી સંસ્કૃતિની જાળવણીમાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.ધારાસભ્ય દુર્લભજીભાઈએ જણાવ્યું હતું કે, બાળકોમાં રહેલી કળાઓને પ્રોત્સાહન આપવા આ પ્રકારના આયોજનો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માર્ગદર્શન હેઠળ ગુજરાત આગળ વધી રહ્યું છે. મોરબી નસીબદાર છે કે આ પ્રકારનો કાર્યક્રમ આજે મોરબી ખાતે યોજાયો છે.
શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ ન હોય તેમ છતાં પણ દબાણો હટાવાતા હોવાની રજૂઆત બાદ ટાઉન પ્લાનિંગ કમિટીએ અધિકારીઓ પાસે ટ્રાફિક માટે મુખ્ય રસ્તાઓનું લિસ્ટ માગ્યું હતું. એ પછી એવી તાકીદ કરી હતી કે, પહેલા એવા રોડ પરથી દબાણ હટાવો જ્યાં ખરેખર ટ્રાફિકની સમસ્યા હોય. મધ્ય ઝોનમાં 15, પૂર્વ ઝોનમાં 22, ઉ.પશ્ચિમ ઝોનમાં 6, દ.પશ્ચિમ ઝોનમાં 2, ઉત્તર ઝોનમાં 10, પશ્ચિમ ઝોનમાં 6, દક્ષિણ ઝોનમાં 15 રોડ પર પ્રાથમિકતાના ધારણો દબાણો હટાવાશે. ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેને કહ્યું કે, તેમને લોકો દ્વારા કેટલીક ફરિયાદો મળી હતીકે, જ્યાં ખરેખર ટ્રાફિકને અડચણરૂપ ન હોય તેવા સ્થળેથી પણ લારી-ગલ્લા ઉઠાવી લેવાય છે. આ અંગે અધિકારીઓને કમિટીમાં પૂછવામાં આવ્યું હતું. એસપી રિંગ રોડ, એસજી હાઈવે પર કાર્યવાહી થશે
ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન અને અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી 100મી ઓલ ઇન્ડિયા મેડિકલ કોન્ફરન્સ-આઇએમએ નીટકોન-2025માં શનિવારે ‘એઆઇ ઇન કાર્ડિયોલોજી’ વિષય પર સેમિનાર યોજાયો હતો. તેમાં યુએન મહેતા હૉસ્પિટલના ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. કમલ શર્માએ કહ્યું હતું કે AIને કારણે તબીબી ક્ષેત્રમાં ધડમૂળથી પરિવર્તન આવશે. હવે ‘એઆઇ ઇન મેડિસિન વિલ બી ટ્રાન્સફોર્મેશન ઇન ફ્યુચર’ ટૅક્નૉલોજી આવી રહી છે. તેનાથી નિદાન અને સારવારનો સમય અડધો થઈ જાય છે, 50 ટકા ગુણવત્તા વધી જાય છે અને તેનું સચોટપણું વધી જાય છે. આથી નિષ્ણાત કે સામાન્ય ડૉક્ટર, બંને એઆઇનો ઉપયોગ કરશે તો દર્દીને બંને પાસે સારવારનાં પરિણામો સરખાં મળશે. હાઇબ્રીડ સર્જરીથી દર્દીના હૃદયની બાયપાસ સર્જરી કર્યા પછી 36થી 48 કલાકમાં રજા આપી શકાશેએઆઇને કારણે વ્યક્તિને આવનારા હાર્ટ એટેકનું જોખમ કેટલું છે તે જાણી શકાશે. ઉપરાંત બાયોમેડિકલ એન્જિનિયરિંગને કારણે હૃદયની વિવિધ સારવાર માટેનાં સાધનો મીનીએચર થતાં હવે હાઈબ્રીડ સર્જરીથી દર્દીના હૃદયની બાયપાસ સર્જરી કર્યા પછી 36થી 48 કલાકમાં રજા આપી શકાય છે. ‘ચેન્જિંગ કોન્સેપ્ટ : લાસ્ટ 3 ડેકેડસ ઇન હાર્ટ ડિસીસ’ ઉપર બોલતાં અપોલો હૉસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગના વડા ડૉ. સમીર દાણીએ જણાવ્યું હતું કે પ્રદૂષણને કારણે પણ હૃદયની નળીમાં બળતરા થયા બાદ સોજો આવે છે અને નળીમાં બ્લોકેજ થાય છે, તેને કેવી રીતે રોકવું તેના માટે હવે વિજ્ઞાન તૈયારી કરી રહ્યું છે. લેબમાં ભૂલ ઘટશે, પરિણામ ઝડપથી મળશેબ્રેન એકેસ એઆઈના કન્સલટન્ટ એન્ડ રિસેર્ચર ડૉ. અવનિશ ખૈરે ‘એઆઇ ઇન મેડિકલ પ્રૅક્ટિસ’ વિશે કહ્યું કે એઆઇથી પેથોલોજીમાં લેબ સ્લાઇડ્સ અને રિપોર્ટનું પ્રાથમિક સ્ક્રીનિંગ થવાથી ભૂલની શક્યતા ઘટશે અને પરિણામ ઝડપથી મળશે. કાર્ડિયોલોજીમાં ECG અને હાર્ટ મૉનિટરિંગ ડેટાનું વિશ્લેષણ કરીને અનિયમિત ધબકાર અને હૃદયરોગના પ્રારંભિક સંકેતો વહેલાં ઓળખી શકાય છે. બે વર્લ્ડ રેકોર્ડ : એક જ સ્થળે દેશભરના 5,000થી વધુ રજિસ્ટર્ડ મેડિકલ ડેલિગેટ્સની હાજરી નોંધાઈ જ્યારે મેડિકલ કૉલેજોના વિદ્યાર્થીઓ દ્વારા 500થી વધુ રિસર્ચ પેપર અને પોસ્ટર પ્રેઝન્ટેશન રજૂ કરીને સંશોધન ક્ષેત્રે પણ નવો માઇલસ્ટોન સ્થાપિત થયો.
આપઘાત:ખીરઈમાં પત્નીનાં મોતનો આઘાત નજીરવાતા પતિએ પકડી અનંતની વાટ
માળીયા મીયાણા તાલુકાના ખીરઈ ગામે વાડીએ રહેતા યુવાને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનની પત્નીનું અગાઉ અવસાન થયું હોય તેના વિરહનો આઘાત ન જીરવાતા પતિએ પણ વખ ઘોળી અંનતની વાટ પકડી હતી. જ્યારે બીજા બનાવમાં મોરબીના રાજપર રોડ ઉપર આવેલ કારખાનાના કવાર્ટરમાં રહેતા યુવાને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. માળિયા મીયાણા તાલુકાના ખીરઈ ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા મુકેશભાઈ ગુમિયાભાઈ નાયક (ઉ.વ.35) નામના યુવાને વાડીએ ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવાની માળિયા મીયાણા તાલુકા પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનના પત્નીનું બે વર્ષ પહેલા અવસાન થયું હતું.પોતાની પ્રેમાળ પત્નીએ ફાની દુનિયા છોડી દીધીનો તેના મન અને હૃદયમાં ઊંડો આઘાત લાગ્યો હતો.આથી પત્નીના અવસાનના આઘાતથી તે ભાંગી પડ્યો હોય નિરાશ થઈને આ અંતિમ પગલું ભરી લીધાનું બહાર આવ્યું છે. બીજા બનાવમાં મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં મોરબીના રાજપર રોડ ઉપર આવેલ આનંદ પાર્ટી પ્લોટ પાછળ જય દ્વારકાધીશ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં તિરૂપતિ પેપર્સ નામના કારખાનાના કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા ભરતકુમાર હરિરામ પુરોહિત નામના યુવાને કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક 108 મારફતે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
ફરિયાદ:મોરબીના હનીટ્રેપના કેસમાં 5 આરોપીનીધરપકડ, ત્રણ હજુ પોલીસ પકડથી દૂર
મોરબીના ખેડૂતને વાડીએ ખેતીકામ માટે મજૂરની જરૂર હોવાથી કોઈ મજૂર તમારા ધ્યાનમાં હોય તો કહેજો તેવું તેમના ઓળખીતા અને અગાઉ ડ્રાઇવર તરીકે કામ કરી ચૂકેલા પાંચાભાઇ માણસુરીયાને કહ્યું હતું. આથી આ પાંચાભાઇને ખેડૂત એક માલદાર પાર્ટી હોવાનો અગાઉથી ખ્યાલ હોય ખેડૂત સાથે મેલી રમત રમવાનું નક્કી કરી અન્ય આરોપીઓની સાથે મળી હનીટ્રેપમાં ફસાવ્યા હતા. અને આરોપીઓએ બનાવના સમાધાન પેટે એક કરોડ અગ્યાર લાખની માંગણી કરી 100 ગ્રામ સોનાના ચાર બિસ્કીટ કિમત રૂપિયા 50 લાખ, સોનાનો અઢી તોલાનો કિંમત રૂપિયા 2.5 લાખ, તથા રોકડા રૂપિયા એક લાખ મળી કુલ 53.50 લાખ પડાવી લઈ વધુ રૂપીયા કઢાવવા માટે ખેડૂતનું અપહરણ કરી એક દિવસ સુધી ગોંધી રાખ્યા હતા.બાદમાં ખેડૂતે આઠેયને કાયદાનું ભાન કરાવવા ફરિયાદ કરી હતી અને પોલીસે જીલુભાઇ પરસાડિયા, મુકેશભાઇ આલ (સાયલા), કરણભાઇ વરૂ, પાંચાભાઇ માણસુરીયા અને દેવાંગભાઇ વેલાણીને સોનાના 100 - 100 ગ્રામના ત્રણ બિસ્કીટ કિંમત રૂપિયા 37.50 લાખ, સોનાનો ચેઇન કિંમત રૂપિયા 2.50 લાખ, કાર કિંમત રૂપિયા 5 લાખ, બીજી કાર કિંમત રૂપિયા 5 લાખ, બાઈક કિંમત રૂપિયા 50 હજાર, મોબાઇલ 6 મળી કુલ રૂપિયા 51.11 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. હજુ આ કેસમાં આરોપી, મનીષભાઇ ગારીયા, રમેશ ઉર્ફે રામાભાઇ હાડગડા અને એક મહિલા ફરાર છે. ગુનો ડિટેકટ થઇ ગયાબાદ ફરિયાદ નોંધી!?ઘણીવાર પોલીસ ક્રાઈમ રેટ ઓછો દર્શાવવા માત્ર અરજીથી કામ ચલાવતી હોય છે જ્યારે ગંભીર બનાવનો ભોગ બનનાર પોલીસ પાસે જાય એટલે પહેલા ગુનો ડિટેકટ કરે પછી ફરિયાદ નોંધતી હોય પછી ગણતરીની કલાકોમાં પોલીસ આરોપીઓને ઝડપી લીધા એવું જાહેર કરતી હોવાની અનેક ફરિયાદો સામે વી છે. તેથી આ ચકચારી કેસમા તો એવું થયું નથી ને ? કારણ કે, ફરિયાદ નોંધાયાના 24 કલાકમાં પોલીસે આરોપી પકડાઇ ગયા હોવાનું જાહેર કર્યું છે. તેથી જનતામાં પોલીસની કામગીરી સામે શંકા ઉદભવી છે.
મોરબી જિલ્લામાં આગામી 27 થી 31 ડિસેમ્બરથી ઠંડા પવન ફૂકાવવાની શરૂઆત થતા ઠંડીના નવા રાઉન્ડનો પ્રારંભ થવાની અને નવા વર્ષના પ્રારંભથી વધુ ઠંડીનું જોર વધશે તેવી શક્યતા વ્યક્ત કરાઇ છે. હાલ આવનાર સપ્તાહમાં મોરબી જિલ્લામાં લઘુતમ તાપમાન 12 અને 13 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની અને બાદના સપ્તાહમાં 11થી 12 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે, જો કે દિવસ દરમિયાન દિવસે ખાસ ફેરફાર થાય તેવી શક્યતા ઓછી હોવાનું જણાવાયું છે. જ્યારે મહતમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહેવાની શક્યતા છે. ઘઉં - જીરુંને ઠંડીની જરૂરમોરબી જિલ્લામાં શિયાળુ પાક તરીકે જીરું ચણા અન ઘઉંનું વાવેતર મુખ્ય છે મોટા ભાગના વિસ્તારમાં ઘઉંના વાવેતરને એક થી દોઢ માસનો સમય થવા આવ્યો છે, એક પિયતની પણ જરૂર ઉભી થઇ છે ત્યારે શિયાળની ધુમ્મસ અને ઠંડી રવિ પાક માટે સાનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે અને ભેજનું પ્રમાણ જાળવી પાકને ફાયદો કરતું હોય છે ચાલુ વર્ષે વાવેતરની વાત કરીએ તો ચાલુ વર્ષે 1,55,600 હેકટરમાં વાવેતર થયું છે જેમાં સૌથી વધુ 52 600 હેક્ટર વિસ્તારમાં જીરું, 45 હજાર હેકટરમાં ઘઉંનું જયારે 34 900 હેકટરમાં ચણાનું વાવેતર મુખ્ય છે. હવે જ પાકને સાચી ઠંડીની જરૂર છે. ભેજવાળા વાતાવરણમાંબેકટેરિયા વધુ સક્રિય બનેઅત્યારે વાતાવરણમાં ભેજ અને તાપમાનમાં વારંવાર ફેરફાર થતાં વાયરસ અને બેક્ટેરિયા વધુ સક્રિય બની રહ્યા છે. આપણું શરીર આ ઝડપથી થતા ફેરફારોને સહન કરી શકતું નથી, જેના કારણે ઈન્ફેક્શનના કેસોમાં વધારો થાય છે. આથી દિવસભર હૂંફાળું પાણી પીવું, જે ગળાના ઈન્ફેક્શનને ઘટાડે છે. હંમેશા તાજો અને ગરમ ખોરાક ખાવા, લીલા શાકભાજી અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સંતરા, લીંબુ, આમળા જેવા ફળો ખાવા. ઘરેલું ઉપચારમાં રાત્રે સૂતી વખતે ગરમ દૂધમાં હળદર નાખીને પીવાથી ઈન્ફેક્શન સામે રક્ષણ મળે છે. તુલસી, આદુ અને મરીનો ઉકાળો અથવા ચા પીવાથી શરદી-ઉધરસમાં રાહત મળે છે. ડો. ધ્રુપલ સુથાર, MD ફિઝિશિયન ઠંડી આટલી નબળી કેમ પડી ?Q. 15 વર્ષમાં બીજી વખત નબળો શિયાળો જઇ રહ્યો છે, શું કારણો છે ?A. આ વખતે હવામાં ભેજનું પ્રમાણ સામાન્ય કરતાં વધુ રહ્યું છે. અને હાઇ ડેન્સીટી (ભારે હવા)ના કારણે મોટાભાગે ધુમ્મસ અને ઝાકળવર્ષા વાળુ વાતાવરણ બની રહ્યું છે. Q. આ વાતાવરણથી પાકોને શું અસર થઇ રહી છે ?A. આ પ્રકારનું વાતાવરણ સામાન્ય રીતે માર્ચમાં જોવા મળતું હોય છે. જીરૂમાં લીલો સુકારો, ઇસબગુલમાં ભૂકીછારો અને સુકારો તેમજ રાયડો અને વરીયાળીમાં ભૂકીછારાનો રોગ દેખાઇ રહ્યો છે. આ વખતે દીવેલાના પાકમાં નરી આંખે ન જોવા મળતાં કથીરી અને ગુમ્મોસિસનો રોગનું પ્રમાણ વધી રહ્યું છે. સામાન્ય રીતે આ રોગ 5 થી 10 ટકા પાકને દર વર્ષે અસર કરતો હોય છે. પરંતુ હાલ તેનું પ્રમાણ 35 થી 40 ટકા સુધી જોવા મળી રહ્યું છે.
સિટી એન્કર:શહેરમાં ચાંદીમાં કિલોએ 19 હજાર, ને સપ્તાહમાં 52 હજારનો ઉછાળો
વૈશ્વિક બજારમાં ચાંદી 77 ડોલરની સપાટીને વટાવી જતાં અમદાવાદમાં શનિવારે પ્રતિ કિલો ચાંદીમાં એક જ દિવસમાં રૂ.19 હજારનો વધારો થયો હતો. આ સાથે 1 કિલો ચાંદીનો ભાવ રૂ.2.52 લાખની નવી સપાટીએ પહોંચી ગયો છે. શરાફા બજારમાં ટ્રેડર્સ-રોકાણકારો અચંબમાં પડી ગયા છે. દૈનિક નવી ટોચ જોવા મળતા ચાંદીમાં હવે નવું રોકાણ અટકવા સાથે પ્રોફિટબુક કરવાવાળા પણ વધુ તેજીની રાહમાં છે. ચાંદીની પાછળ સોનું પણ સતત ઉછળી અમદાવાદ ખાતે રૂ,1.45 લાખની નવી ઉંચાઇએ પહોંચ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં જ ચાંદીમાં પ્રતિ કિલોએ રૂ.52 હજારનો વધારો થયો છે. જ્યારે સોનામાં રૂ.7 હજારનો વધારો થયો છે. બુલિયન માર્કેટમાં તેજી નવી ટોચ પર પહોંચી છે તેવું માનવાવાળા ખોટા સાબિત થઇ રહ્યાં છે. 2025માં ચાંદીમાં સરેરાશ 160 ટકાનું રિટર્ન મળ્યું છે જ્યારે સોનામાં 80 ટકાનું રિટર્ન મળ્યું છે. બુલિયન એનાલિસ્ટના મતે જે ગતિએ ચાંદી વધી રહી છે તેને ધ્યાનમાં લેતા આગામી ટુંકાગાળામાં વૈશ્વિક બજારમાં 83 ડોલર અને સ્થાનિકમાં 2.75 લાખની સપાટીએ પહોંચી શકે છે. ચાંદીમાં તેજી જ તેજી... સપ્તાહમાં આ રીતે ભાવ વધારો થયો ભાસ્કર એક્સપર્ટચાંદીમાં નવા રોકાણકારોએ ખરીદીથી દૂર રહેવું, ભાવમાં ગમે ત્યારે કરેક્શન સંભવચાંદીમાં જે ગતિએ તેજી જોવા મળી છે તેમાં કરેક્શન ગમે ત્યારે આવી શકે છે. ચાંદી જે ગતિએ વધીને બે લાખ સુધી પહોંચી ત્યારે વાસ્તવિક લાગતી હતી અને તેજી માટે ડિમાન્ડ સપ્લાય ગેપ, જિયો પોલિટીકલ ઇશ્યુ, ગોલ્ડ ઇટીએફ, હેજફંડોની ખરીદી, ફેડરેટકટ, ડોલર મૂવમેન્ટ કારણભૂત રહી હતી. પરંતુ છેલ્લા એક સપ્તાહમાં જે રીતે ઉછળી તેને ધ્યાનમાં લેતા હવે વાસ્તવિક કરતા બબલ હોવાનું અનુમાન છે. ન્યૂયર પાર્ટી પૂરી થતા નવા વર્ષના પહેલા પખવાડિયામાં તેજી અટકવા સાથે પરત ફરે તેવો અંદાજ છે. હાલની કિંમતે નવા રોકાણકારોએ પ્રવેશ ન કરવા સાથે સમયાંતરે પ્રોફિટબુક કરવું હિતાવહ સાબિત થશે. ઉપરમાં 2.75 અને નીચામાં ફરી 2.20-2.25 લાખ સુધી પહોંચી શકે છે. - અજય કેડિયા, કેડિયા કોમોડિટીઝ
કાર્યવાહી:16 દિમાં12.60 લાખમાંથી રક્તપિતના 94 દર્દી શોધાયા
ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગની ટીમે 8 ડિસેમ્બરથી રક્તપિત રક્તપિત્ત દર્દી શોધ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જિલ્લાના તમામ નવ તાલુકાની ગ્રામ્ય વસ્તી સાથે શહેરી વિસ્તારને આવરી લેવામાં આવશે. જીલ્લામાં આરોગ્યની 1212 ટીમો ઘરે ઘરે જઇ તમામ સભ્યોની લેપ્રસીના શંકાજનક ચિહ્નોની તપાસ કરી રહી છે. જેમાં 16 દિવસમાં 1260544 સભ્યોના સર્વે માં 3052 શંકાજનક વ્યક્તિઓ મળી આવ્યા હતા. જેઓની આરોગ્ય કેન્દ્રમાં નિષ્ણાત ડોક્ટર તપાસ કરતાં નવ 94 રક્તપિત્તના દર્દી મળ્યા હતા. જેમાં પણ 40 મલ્ટી બેસીલરી લેપ્રસી અને 54 પોસી બેસીલરી લેપ્રસી પ્રકારમાં વહેચવામાં આવ્યા છે. જે તમામ દર્દીઓને વિનામૂલ્યે સારવાર હેઠળ મૂકવામાં આવ્યા છે. તેમજ નવા રક્તપિત્તનાં દર્દીનાં સંપર્કમાં આવતા તમામ લોકોને એસડીઆર પ્રોફાઈલેક્સિસ પણ આપવામાં આવ્યા છે. ઉલેખનીય છે કે, રક્તપિત્ત પુર્વ જન્મના પાપનું ફળ નથી કે તે વારસાગત રોગ નથી. કોઈ પણ બાળક રક્તપિત્ત રોગ સાથે જન્મતું નથી. રકતપિત્ત પુરુષ - સ્ત્રી, બાળક - યુવાન- વૃદ્ધ, ગરીબ – તવંગર કોઈને પણ થઈ શકે છે. રકતપિત્ત થી ગભરાવાની જરૂર નથી તેનું નિદાન તેમજ સારવાર તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જનરલ હોસ્પિટલમાં વિના મુલ્યે થાય છે. લક્ષણો દેખાય તો પ્રાથમિક આરોગ્યમાં જણાવોશરીર પર આછા ઝાંખા રતાશ પડતા ચાઠા, કિનારીવાળા ચાઠા, ચામડીના રંગ અને કુમાશમાં ફેરફાર, ચામડી ચળકતી અને સુંવાળી લાગે, હાથપગમાં સ્પર્શનો અભાવ, કાનની કિનારી અને ચહેરા ઉપર નાની ગાંઠો હોય તો રકતપિત્ત હોય શકે છે. બહુ ઔષધિય સારવારથી રકતપિત્ત ચોક્ક્સ મટી શકે છે.
ભાસ્કર બ્રેકિંગ:ગિફ્ટ સિટી પાસેની ચિલ્ડ્રન યુનિવર્સિટીની 2,400 કરોડની જમીન પર બિલ્ડરોની નજર
બાળકોના સર્વાંગી વિકાસ અને સમાજને સંસ્કારસભર નાગરિકો આપવા માટેની સંકલ્પના સાથે દેશની પ્રથમ ચિલ્ડ્રન યુનિવર્સિટી ગુજરાતમાં સ્થાપાઈ હતી. ગાંધીનગર સેક્ટર-20માં હંગામી જગ્યા ઉપર ચાલતી યુનિ. માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશ બાદ તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને ફેબ્રુઆરી-2020માં મળેલી કેબિનેટ બેઠકમાં ગિફ્ટ સિટીથી 200 મિટરના અંતરે 30 એકર સરકારી જમીન ચિલ્ડ્રન યુનિવર્સિટીને મફતમાં ફાળવવા સત્તાવાર નિર્ણય લેવાયો હતો. હાલ ભેદી સંજોગોમાં ઓક્ટોબર 2025ના રોજ ચિલ્ડ્રન યુનિ. રજિસ્ટ્રારે ઉચ્ચ શિક્ષણ કમિશનરને પત્ર લખી સંપૂર્ણ જમીન સરકારને પરત આપવા સૂચના મળી હોવાનો સંકેત આપ્યો છે. પત્રમાં જમીન પરત કરવા કોની સૂચના મળી તેની કોઈ સ્પષ્ટતા કરી નથી. યુનિ. નો આ પ્રસ્તાવ શિક્ષણ વિભાગમાં શંકાસ્પદ માનવામાં આવી રહ્યો છે. સમગ્ર મામલે તપાસ કરી રિપોર્ટ વડાપ્રધાન કાર્યાલયમાં રજૂ કરવા આદેશ છૂટ્યો હોવાની ચર્ચા છે. ગાંધીનગર જિલ્લાના શાહપુર વિસ્તારમાં આવેલા સર્વે નંબર 364, 366 અને 368 (જૂનો સર્વે નં. 219) પૈકીની કુલ 30 એકર જમીન ચિલ્ડ્રન યુનિ. ને ફાળવવાનો હુકમ ખુદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદમાં જાહેર કર્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, ચિલ્ડ્રન યુનિ. શરૂ કરવાનો મૂળ વિચાર નરેન્દ્રભાઈનો હતો. તેમણે યુનિ. ના વિકાસ માટે બજેટમાં જરૂરી જોગવાઈ કરવાની ખાતરી આપી હતી. શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે, આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને લઈને વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં અનેક ઓનલાઈન બેઠકો યોજાઈ હતી, જેમા કેન્દ્રીય મંત્રીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. છેલ્લા પાંચ વર્ષમાં બાંધકામ માટે સરકારે યુનિ. ને તબક્કાવાર અંદાજે 40 કરોડ રૂપિયા ફાળવ્યાં છે. બીજી તરફ યુનિ. એ વેરા પેટે આશરે 14 કરોડ રૂપિયા સરકારી તિજોરીમાં જમા કરાવ્યા છે. સૂત્રો કહે છે કે, પાંચ વર્ષ સુધી જમીનનો ઉપયોગ શરૂ નહીં કરવા પાછળ કેટલાક સંકળાયેલા લોકો, અધિકારી અને રાજકારણીઓનું સંયુક્ત ષડયંત્ર છે. સત્તા બદલાતી ગઈ તેમ યુનિ. ના વિવિધ પ્રોજેક્ટ્સને સિમિત કરવામાં આવ્યાં હોવાની સચિવાલયમાં ચર્ચા છે. ચિલ્ડ્રન યુનિ.ના ફ્યૂચર પ્રોજેક્ટ પ્રેઝેન્ટેશનમાં આ દાવાઓ થયાંચિલ્ડ્રન યુનિ. ના ફ્યૂચર પ્રોજેક્ટ પ્રેઝેન્ટેશનમાં ભારત માતા મંદિર, શ્રીયંત્ર મંદિર, પર્યાવરણ મંદિર, ફન વીધ સાયન્સ એન્ડ મેથ્સ લેબ, ફિઝિક્સ-કેમેસ્ટ્રી અને બાયોલોજી લેબ, ઓરા એક્સપેરિમેન્ટલ લેબ, થ્રીડી હોલોગ્રામ પ્લેનેટઅર્થ, ખગોળ - બ્રહ્માંડ ઉત્પત્તિ દર્શાવતું પ્લેનેટોરિયમ, કૃષિ વિજ્ઞાન સહિત અન્ય અનેક દાવાઓ કરાયા હતા. ચિલ્ડ્રન યુનિવર્સિટી સ્થાપનાર ગુજરાત વિશ્વનું પ્રથમ રાજ્યવડાપ્રધાને ચિલ્ડ્રન યુનિ. ની સંકલ્પના કરી હતી. તેમણે વારંવાર જાહેરમાં કહ્યું છે કે, ‘સમય જતાં પરિવારોનું કદ સતત નાનું બન્યું છે. વ્યસ્ત જીવનશૈલીના કારણે માતા-પિતાને બાળકોના સર્વાંગી ઉછેર માટે પૂરતો સમય મળતો નથી. સમાજને સંસ્કારસભર, જવાબદાર અને સારા નાગરિકો મળી રહે તે હેતુસર ચિલ્ડ્રન યુનિ. નો પ્રારંભ કર્યો છે. સરકાર પાસે સ્પષ્ટતા સાથે માર્ગદર્શન માગ્યું છે... ચાર-પાંચ વર્ષ થયા છે, ટીપી ફાઈનલ થઈ તે માટે વિચારણાના ભાગરૂપે સરકાર પાસે સ્પષ્ટતા સાથે માર્ગદર્શન માગ્યું છે. જમીન બાબતે સરકાર પુનઃ વિચાર કરવા માગે છે. -નિલેશ પંડ્યા, રજિસ્ટ્રાર, ચિલ્ડ્રન યુનિવર્સિટી ખાનગી બિલ્ડરો આ જગ્યા માટે ઊંચી કિંમત આપવા તૈયારશાહપુર ગામતળનો આ વિસ્તાર ગિફ્ટ સિટી સાથે જોડાયેલો છે તેથી રિયલ એસ્ટેટની દૃષ્ટિએ અત્યંત કિંમતી છે. ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે, આ જમીનનો ભાવ આસમાને પહોંચ્યો છે. રાજકારણી અને ખાનગી બિલ્ડરોની નજર જમીન પર છે. હાલ એક એકર જમીનનો અંદાજિત ભાવ આશરે 80 કરોડ છે, તો 30 એકર જમીનની કિંમત આશરે 2,400 કરોડ રૂપિયા થાય છે. ખાનગી બિલ્ડરો આ જમીન માટે મોઢે માંગી કિંમત આપવા તૈયાર હોવાનું સૂત્રો જણાવે છે. હવે આ જગ્યા કોને ફળવાય તેના ઉપર સૌની નજર છે.
ઉજવણી:ભરૂચમાં આજે કોંગ્રેસ પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી થશે
દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ આજે 28મી ડિસેમ્બરના રોજ સ્થાપના દિવસની ઉજવણી કરશે. આ અવસરે ભરૂચ શહેરના સ્ટેશન રોડ સ્થિત કાર્યાલય ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું છે. સવારે 10.30 કલાકે પક્ષના ઝંડાને સલામી આપવામાં આવશે. આગામી દિવસોમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં સંગઠનને મજબૂત બનાવવા ઉપર પણ ભાર મુકવામાં આવશે. કાર્યક્રમ બાદ આગેવાનો અને કાર્યકરોની બેઠક પણ મળશે. બેઠકમાં આગામી ચૂંટણીને અનુલક્ષીને રણનીતિની ચર્ચા વિચારણા કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં જિલ્લા, તાલુકા અને પાલિકાઓની ચૂંટણી આવી રહી છે.
ચક્કાજામ:કેવડિયામાં રિક્ષાચાલકોને પાસ નહિ આપવામાં આવતાં ચક્કાજામ કર્યો
કેવડિયામાં નાતાલના મીની વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે 50 હજાર કરતાં વધારે પ્રવાસીઓ ઉમટી પડયાં હતાં. પ્રવાસીઓની સરખામણીએ એસઓયુ તરફથી દોડાવવામાં આવતી બસો ઓછી પડી હતી. સ્થાનિક લોકો રીક્ષામાં પ્રવાસીઓને લઇ જઇ શકે છે પણ તેના માટે તેમને પાસ આપવામાં આવે છે. શનિવારે પ્રવાસીઓ વધારે હોવાથી રીક્ષા ચાલકો રોજગારી મેળવવા માટે કેવડિયા પહોંચ્યાં હતાં પણ તેમને પાસ આપવાનો ઇન્કાર કરી રોકવામાં આવતાં તેઓ સાગમટે હડતાળ પર ઉતરી ગયાં હતાં. તેમણે ચકકાજામ કરી દેતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.કોંગ્રેસ પ્રમુખ રણજીત તડવી (મહાકાળી) શૈલેષ તડવી સહિત કોંગ્રેસની ટીમો એ વાગડીયા પાસે રસ્તો રોકી પ્રવાસીઓ ને અટકાવી ચક્કા જામ કરવામાં આવ્યો હતો જેથી સત્તામંડળના ધિકારીઓ અને ભાજપના આગેવાનો પણ દોડી આવ્યા હતા. ધિકારીઓ સાથે પરામર્શ કરી ને જે રિક્ષાઓ ને જવા દેવામાં નહોતા આવતા એ તમામ રિક્ષા ઓ ને પાસ વગર જવા દેવામા આવતા મામલો થાળે પડ્યો હતો અને બપોર પછી પુનઃ વાહનોની અવર જવર શરૂ કરવામાં આવી હતી. કેવડિયામાં ઇ રિક્ષા તથા બસ ચલાવવામાં આવે છે કેવડિયાને પ્રદુષણ મુક્ત રાખવા માટે ઇલેક્ટ્રિકલ વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રવાસીઓને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે ઈ બસ તેમજ રિક્ષા ઉપયોગમાં લેવામાં આવે છે. ઇ રીક્ષાઓનો સંચાલન આદિવાસી મહિલાઓ કરતી હોય છે.
ભાસ્કર ફોલોઅપ:નર્મદામાં 75 લાખની માગણી વિવાદ બાદ કલેકટર અને ઇજનેર રજા પર ઉતરી ગયાં
ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને દેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસે રૂા.75 લાખની માગણી કરવાનો વિવાદ ચાલી રહયો છે. સાંસદ મનસુખ વસાવાનો આક્ષેપ છે કે, એકતા દિવસના કાર્યક્રમ પહેલાં કલેકટર એસ.કે.મોદીએ હેલિપેડ પર તેમને ચૈતર વસાવાએ માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસે રૂા.75 લાખ માંગ્યા હોવાની વાત કહી હતી. જો કે બાદમાં કલેકટરે આ બાબતનો ઇન્કાર કર્યો હતો. બીજી તરફ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં કેવડિયા અને દેડિયાપાડાના કાર્યક્રમો પાછળ થયેલાં ખર્ચની વિગતો માગી હતી. કલેકટરે ચૈતર વસાવાએ પૈસા માગ્યા હોવાનો ઇન્કાર કરતાં સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામુ આપી દેવા સુધ્ધાની ચીમકી આપી હતી. બે દિવસ પહેલાં કલેકટર એસ.કે.મોદીએ સાંસદ સમક્ષ ચૈતર વસાવાએ પૈસા માગ્યા હોવાની કબૂલાત કરતાં મામલો બિચકયો હતો. સાંસદ સાથે થયેલી બેઠક બાદ કલેકટર એસ.કે.મોદી રજા પર ઉતરી ગયાં છે. તેમની સાથે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સતીષ મોદી પણ રજા પર ઉતરી ગયાં છે. સાંસદ અને ધારાસભ્ય વચ્ચે ચાલી રહેલા વિવાદ બાદ બંને ઉચ્ચ અધિકારીઓ હાલ રજા પર ઉતરી ગયાં છે. ધારાસભ્ય અને સાંસદ પત્રકાર પરિષદ યોજીને એક બીજા ઉપર આક્ષેપો કરી રહ્યા છે. સાંસદે અધિકારી પાસે પૈસા માંગવાની ઘટનાને ગંભીર ગણાવી છે. તો બીજી તરફ ધારાસભ્યએ ભાજપના દબાણના લીધે કલેક્ટરે પોતાનું નિવેદન બદલી નાખ્યુ હોવાનો આક્ષેપ કર્યો છે.
ઘણા મુસાફરો જાહેરમાં શૌચક્રિયા કરવી પડે છે:182 રૂટ ધરાવતા વઢવાણ બસ સ્ટેશનના શૌચાલયોને તાળાં
વઢવાણ શહેરી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના મુસાફરો માટે વઢવાણ બસ સ્ટેશનમાં પાણીની પરબ, પંખા, બાકડાઓ, પ્લેટફોર્મ, શૌચાલયો સહિતની સુવિધા ઉભી કરાઇ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી બસ સ્ટેશનના શૌચાલયો બંધ રહેતા હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ શહેરી અને ગ્રામ્યના અંદાજે 183 રૂટો ધરાવતા વઢવાણ બસ સ્ટેશનના કારણે અહી દિવસ-રાત મુસાફરો આવ-જા કરી રહ્યા છે. આ બસ સ્ટેશનમાં શોચાલયોને તાળા લાગેલા હોવાથી મહિલાઓ સહિતના મુસાફરોને હાલાકી પડી રહી છે. આથી તંત્ર દ્વારા આ બાબતની ગંભીરતા લઇને શૌચાલયોના તાળા ખોલીને લોકઉપયોગી બનાવવા જોઇએ તેવી મુસાફરોએ માંગ ઉઠી હતી. મહેશભાઈ પરમાર નામના મુસાફરે જણાવ્યું કે, આ સ્ટેશનમાં પુરૂષો અને મહિલાઓ માટે એમ બે અલગ અલગ શૌચાલયો બાજુબાજુમાં જ આવેલા છે. પરંતુ આ શૌચાલયોને ઘણા સમયથી તાળા મારી દેવામાં આવ્યા છે. આથી અહી આવતા મહિલા સહિતના મુસાફરોને શૌચાલયની આજુબાજુ જ જાહેરમાં શૌચક્રિયા કરવાની ફરજ પડે છે. બસ સ્ટેશનમાં શૌચાલયની હાલ જે સુવિધાઓ છે તે લોકો માટે બિનઉપયોગી થઇ રહી છે.
રજૂઆત:નવી શિક્ષણ નીતિમાં વીર શહીદ ઉધમશીનો પાઠ્ય પુસ્તકમાં પાઠ બંધ કર્યો છે તે તાત્કાલિક સામેલ કરો
દેશની આઝાદી માટે લંડન જઈને જલિયાવાલા બાગ હત્યાકાંડનો બદલો લેનાર મહાન ક્રાંતિકારી શહીદ ઉધમસિંહની 126મી જન્મજયંતિ નિમિત્તે તેમના જીવનચરિત્રને ગુજરાતના પાઠ્યપુસ્તકોમાં ફરી સામેલ કરવાની માંગ સાથે કાનજીભાઈ ચાવડા, રાજુભાઈ મકવાણા, બી.કે. પરમાર, નટુભાઈ એલ. પરમાર સહિતના અગ્રણીઓ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. નવનિર્માણ સાર્વજનિક ટ્રસ્ટ, છત્રપતિ શાહુજી મહારાજ બૌદ્ધ વિહાર અને સમસ્ત અનુસૂચિત જાતિ સુરેન્દ્રનગર દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે કે નવી શિક્ષણ નીતિ અંતર્ગત પાઠ્યપુસ્તકોમાંથી શહીદ ઉધમસિંહનો પાઠ કાઢી નાખવામાં આવ્યો છે, જે અત્યંત ખેદજનક છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ હાલના પાઠ્યપુસ્તકોમાં જલિયાવાલા બાગના નરસંહારની માહિતી માત્ર ટૂંકમાં જ આપવામાં આવી છે. પરંતુ 21 વર્ષ સુધી બદલાની અગ્નિ હૈયે રાખી લંડનમાં જઈ માઈકલ ઓ'ડાયરનો વધ કરનાર વીર ઉધમસિંહના સાહસનો કોઈ ઉલ્લેખ નથી. ઉધમ સિંહે પોતાનું નામ રામ મોહમ્મદસિંહ આઝાદ રાખીને દેશની એકતાનો સંદેશ આપ્યો હતો. એક સામાન્ય દલિત પરિવારમાં જન્મેલા આ વીર સપૂતે વિશ્વભરમાં ભ્રમણ કરીને ભારતની આઝાદીનો પાયો મજબૂત કર્યો હતો. આવનારી પેઢી ક્રાંતિકારીઓના સાચા ઇતિહાસ અને બલિદાનથી માહિતગાર થાય તે માટે ધોરણ 1થી 8ના પાઠ્યપુસ્તકોમાં તાત્કાલિક અસરથી વીર શહીદ ઉધમસિંહનો પાઠ સામેલ કરવામાં આવે તેવી માંગ કરી હતી.
ગોઝારો અકસ્માત સર્જાયો:અજાણ્યા વાહનની હડફેટે ચગદાઈ જતાં યુવાનનું મોત
જામનગર-ખંભાળિયા હાઈવે પર મોટી ખાવડી પાસે અજાણ્યા વાહન ચાલકે અજ્ઞાત યુવાનને અડફેટે લેતાં અને ટાયર નીચે ચગદાઈ જતાં મોત નિપજ્યું હતું, અને પોલીસે મૃતદેહની ઓળખ મેળવવા માટે તપાસનો ધમધમાટ આદર્યો છે. મોટી ખાવડી ગામ પાસે રોડ ઉપરથી પગપાળા જતાં એક અજાણ્યો 20 થી 30 વર્ષના યુવાન જતા હતા અને અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરપાટ ચલાવીને યુવાનને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અજાણ્યા યુવાન ઉપર ટાયર ફેરવી દેતા ચગદાઈ જતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. જે અંગેની અફરોજઆલમ અફઝલહુશેનઆલમ અંસારીએ પોલીસને જાણ કરતા મેઘપર (પડાણા)ના પીઆઈ પી.ટી.જયસ્વાલ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળીને પીએમ માટે મોકલી દીધો હતો. અજાણ્યા મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તપાસ હાથ ધરી છે. તો અફરોજઆલમની ફરિયાદ પરથી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને ધરપકડ માટે શોધખોળ આરંભી છે. બનાવના બે દિવસ બાદ પણ મૃતક યુવાનની ઓળખ થઈ શકી નથી. તેથી પોલીસે કોઈ પરપ્રાંતીય યુવાન હોવાની આશંકાએ તે દિશામાં તપાસ હાથ ધરીને શ્રમિકોની પૂછપરછ શરૂ કરી છે.

23 C