SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
... ...View News by News Source

સ્થાનિકોએ પોલીસની કામગીરીને બિરદાવી:સુદામા પાર્કમાં ₹40 લાખનું ગેરકાયદેસર ધાર્મિક દબાણ તોડી પાડતા સ્થાનિકોએ પોલીસ અને વહીવટી તંત્રનો માન્યો આભાર

શહેરના મધુરમ વિસ્તારમાં આવેલા સુદામા પાર્ક વિસ્તારમાં લાંબા સમયથી સાર્વજનિક પ્લોટ પર થયેલા ગેરકાયદેસર ધાર્મિક દબાણ પર વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા ગઈકાલે રાત્રે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 40 લાખ રૂપિયાની અંદાજિત બજાર કિંમત ધરાવતી 190 ચોરસ મીટર જમીન પરનું આ દબાણ દૂર કરાતાં, વિસ્તારના રહીશોમાં આનંદની લાગણી છવાઈ હતી અને તેમણે તંત્રની આ સરાહનીય કામગીરીને બિરદાવી હતી.​ દાયકા જૂનું દબાણ આખરે દૂર કરાયું​ જૂનાગઢ મહાનગરપાલિકાની ટીમે વહીવટી અને પોલીસ તંત્રના સહયોગથી મધુરમ બાયપાસ, ટીંબાવાડી, સુદામા પાર્ક-1 માં આવેલ સાર્વજનિક પ્લોટ પરના ગેરકાયદેસર ધાર્મિક બાંધકામને દૂર કરવા માટે બુલડોઝર ફેરવી દીધું હતું. આ દબાણ છેલ્લા 10 થી 12 વર્ષથી અસ્તિત્વમાં હતું, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો.​કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે કમિશનર, કલેક્ટરની ટીમ અને એસ.પી ની સીધી દેખરેખ હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેના પરિણામે ડિમોલિશનની આ સમગ્ર કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી.​ ત્રણ વર્ષની રજૂઆતને સફળતા મળી દબાણ હટાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ, સુદામા પાર્કના સ્થાનિક રહીશોએ એકત્ર થઈને પોલીસ અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.સ્થાનિક રહેવાસી સંજયભાઈ બારડે જણાવ્યું હતું કે મધુરમ બાયપાસ, સુદામા પાર્ક-1 માં સાર્વજનિક પ્લોટમાં જે દબાણ કરવામાં આવેલા હતા, તેની અમે વારંવાર કલેક્ટર અને એસ.પી.ને રજૂઆત કરી હતી. તંત્રએ સમય-સંજોગ અને કાગળની તપાસ કરતાં સાબિત થયું કે આ દબાણો બિનઅધિકૃત અને બિનકાયદેસર હતા.ગઈકાલે કલેક્ટરની ટીમ અને જૂનાગઢ એસ.પી.પોતે હાજર રહીને દબાણ દૂર કર્યા હતા. સુદામા પાર્કના તમામ રહેવાસીઓ તંત્રની આ નિર્ણાયક કામગીરીને બિરદાવે છે અને તેમનો ખૂબ ખૂબ આભાર માને છે.​ સુદામા પાર્કમાં રહેતા જગમાલ કે. આહિરે જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં છેલ્લા દસ થી બાર વર્ષથી આ ગેરકાયદેસર દબાણો હતા, જેને દૂર કરવા માટે સુદામા પાર્કના ભાઈઓ-બહેનોએ છેલ્લા ત્રણ વર્ષથી સતત એસ.પી અને કલેક્ટરને રજૂઆત કરી હતી. સમય સંજોગોના કારણે ઢીલ થતી હતી, પરંતુ ગઈકાલે રાત્રે એસ.પી. અને કલેક્ટરની ટીમે દબાણ ખસેડીને જગ્યા ખુલ્લી કરી આપી છે. અમારી ત્રણ વર્ષની રજૂઆતને આખરે સફળતા મળી છે. અમે સુદામા પાર્ક-1 ના તમામ રહેવાસીઓ વતી તંત્રનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.વહીવટી તંત્રની આ કડક કાર્યવાહીના પગલે લાંબા સમયથી અટવાયેલા સાર્વજનિક પ્લોટની જમીન આખરે તેના મૂળભૂત હેતુ માટે મુક્ત થઈ છે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 11:26 pm

આણંદમાં વિરાટ હિન્દુ ધર્મ સભા યોજાઈ:ટી રાજાસિંહે કહ્યું-કેટલાક નેતાઓ ચૂંટણી સમયે ડુપ્લિકેટ ભગવો ધારણ કરે છે, ચૂંટણી પૂર્ણ થતાં જ તેઓનું હિન્દુત્વ ખતમ થઈ જાય છે

સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આણંદમાં વિરાટ હિન્દુ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સનાતન ધર્મ સંસ્કૃતિ અને અખંડ હિન્દુ રાષ્ટ્રના કાર્યને ગતિ આપવા હેતુસર આયોજિત આ ધર્મસભામાં પ્રખર હિન્દુ વક્તા ટી. રાજાસિંહ (ગોશામહેલ, તેલંગાણા) મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેલંગાણાના ગોશામહેલ વિધાનસભાના ધારાસભ્ય ટી. રાજાસિંહે 'જય શ્રી રામ'ના જયનાદ સાથે ધર્મસભાને સંબોધતા જણાવ્યું હતું કે, ત્રણ દિવસ પહેલા મને ફોન આવ્યો હતો કે 'આણંદ આવશો તો મંચ પર જ ગોળી મારીશું', આજે હું સુરક્ષા વિના મંચ ઉપર ઉપસ્થિત છું. રાજાસિંહે વધુમાં જણાવ્યું કે, તેલંગાણા પોલીસે તેમને આણંદ આવતા રોકવા માટે ઘણા પ્રયાસો કર્યા હતા. પોલીસે એરપોર્ટ પર બંદોબસ્ત ગોઠવ્યો, તો હું બાય રોડ આણંદ આવ્યો છું. ટી રાજાસિંહે જણાવ્યું હતું કે, કેટલાક નેતાઓ ચૂંટણી સમયે ડુપ્લિકેટ ભગવા ધારણ કરે છે. ચૂંટણી પહેલા જય શ્રી રામ ના નારા લગાવે છે, હિન્દુ-હિન્દુ ભાઈ-ભાઈના નારા પણ લગાવે છે. ચૂંટણી પૂર્ણ થતાંની સાથે આવા નેતાઓનું હિન્દુત્વ પણ ખતમ થઈ જાય છે. જે હિન્દુત્વની વાત કરશે તેને જ હિન્દુ વોટ આપશે. એક સમય એવો હતો કે, એક ગાલ પર કોઈ લાફો મારે તો બીજો ગાલ આગળ ધરવાનો, પણ હવે સમય બદલાઈ ગયો છે, ગાલ પર હાથ પહોંચે એ પહેલાં હાથ કપાઈ જાય છે. બિફ એક્ષ્પોર્ટમાં ભારત દેશ સમગ્ર વિશ્વમાં બીજા ક્રમે છે. જે ચિંતાનો વિષય છે. આપણે ગૌમાતાની પુજા કરીએ છે. લાખોની સંખ્યામાં ગૌમાતા અને તેમના બચ્ચાંની કતલ કરવામાં આવશે તો આપણે ગોબરનું લિપસ્ટિક કેવી રીતે કરીશું ? ગૌ માતાના દૂધથી પંચામૃત કેવી રીતે બનાવીશું ? ભગવાન શ્રીકૃષ્ણ અને રામને ભોગ કેવી રીતે ધરાવીશું ? માટે ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળે એ પ્રધાનમંત્રી મોદીને નિવેદન છે. કારણ કે ગાય નહીં બચે તો આ ધરતી નહી બચે અને હિન્દુ પણ નહીં બચે. આ વિરાટ હિન્દુ ધર્મસભાનું આયોજન સનાતન ધર્મ સંસ્કૃતિ અને અખંડ હિન્દુ રાષ્ટ્રના કાર્યને ગતિ આપવા હેતુસર કરવામાં આવ્યું હતું. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતનો સનાતની હિન્દુ સમાજ સંગઠિત બને અને ભારત અખંડ હિન્દુ રાષ્ટ્ર બને તે હતો. સભામાં ગૌમાતાને રાષ્ટ્રમાતા અને રાષ્ટ્રીય પશુનો દરજ્જો મળે, સંતોને સન્માન મળે અને તેમના આશીર્વાદથી રાષ્ટ્ર જાગરણ થાય તેવી માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. આયોજન પાછળનો એક મહત્વનો હેતુ રાષ્ટ્ર માટે પડકારરૂપ આતંકવાદ, જેહાદી પ્રવૃત્તિઓ, લવજેહાદ, લેન્ડ જેહાદ, ગૌહત્યા, ધર્માંતરણ, સામાજિક ભેદભાવ, ભાષાવાદ અને પ્રાંતવાદ જેવી ગંભીર સમસ્યાઓનું પતન થાય તે પણ હતો. આ ઉપરાંત, સનાતની હિન્દુ સમાજ સંગઠિત, સુરક્ષિત અને સક્ષમ બને, દેશમાં શાંતિ, સદ્ભાવના અને સંસ્કૃતિનું ઉત્થાન થાય, હિન્દુ સમાજની ધર્મ અને રાષ્ટ્ર પ્રત્યેની સમર્પણ ભાવનામાં વૃદ્ધિ થાય, હિન્દુ બહેન-દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય અને તેઓ લવ જેહાદ જેવા દૂષણોમાં ફસાતી અટકે તે સુનિશ્ચિત કરવાનો પણ ધ્યેય હતો. દેશવિરોધી તાકાતો અને અસામાજિક તત્વો ઉપર અંકુશ આવે તે પણ આ સભાના ઉદ્દેશ્યોમાં સામેલ હતું. આ વિરાટ હિન્દુ ધર્મસભામાં ગુરૂ ગૌભક્ત કાલીદાસ મહારાજ (શ્રી શિવશક્તિ ગુરૂગૌધામ, આનંદ આશ્રમ, દેડાવાડા), 108 મહંત સંત અરવિંદદાસજી બાપુ (શ્રી પંચમુખી હનુમાનજી મંદિર, હઠીપુરા), બાપુ આનંદસિંહ તુંવર (અધ્યક્ષ, શ્રી બાબા રામદેવ સમિતી, રામદેવરા, જેસલમેર), 1008 સંત શિરોમણી દાદુરામ મહારાજ ગાદીપતિ દયારામ મહારાજ (ડાકોર), 108 મહંત શુભમપુરી મહારાજ ગુરૂ રમેશપુરી મહારાજ (જાગનાથ મહાદેવ મંદિર, આણંદ), દાઉજી મંદિર ડાકોરના નિવાસદાસજી મહારાજ (અખિલ ભારતીય સંત સમિતી - ખેડા જિલ્લા પ્રમુખ), સદગુરૂ કિરણરામ મહારાજ (સરતાનરામ પાવનધામ, નિરાંત આશ્રમ, ડાકોર), ભરતભુવન આશ્રમ-ડાકોરના મહંત યુવરાજસ્વામી કરણદાસજી મહારાજ (ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ સર્વદલીય ગૌરક્ષા મંચ), વડોદરા સ્વામિનારાયણ મંદિરના દર્શનવલ્લભદાસજી સ્વામી, 1008 મહામંડલેશ્વર આરતીકુંવરદાસ અને 1008 મહામંડલેશ્વર જારાકુંવરદાસ (નિર્મોહી અન્ની અખાડા માણેજ) સહિતના સંતો-મહંતો ઉપસ્થિત રહ્યાં હતાં.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 10:37 pm

સુરતમાં 5 કલાકમાં જ બે હત્યા:અમરોલીમાં 2 હજાર ન આપતા મિત્રના ભાઈને પતાવી દીધો, ચોકબજારમાં મિત્રને બચાવવા જવામાં યુવકે જીવ ગુમાવ્યો

સુરતમાં માત્ર પાંચ કલાકમાં જ બે હત્યાના બનાવ સામે આવ્યા છે. અમરોલી વિસ્તારમાં 2000 રૂપિયા માટે મિત્ર દ્વારા મિત્રના ભાઈને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. 2000 રૂપિયા ના આપતા મિત્રએ માત્ર લાકડાનો ડંડો માથામાં મારીને મિત્રના ભાઈએ પતાવી દીધો હતો. જ્યારે ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિત્રને બચાવવા ગયેલા ત્રણ અસામાજિક તત્વોએ યુવકને ચપ્પુનો ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બંને હત્યાની ઘટનાઓ રાત્રિના સમયે માત્ર પાંચ કલાકની અંદર બની હતી. 2 હજારની ઊઘરાણીમાં મિત્રો વચ્ચે ઝઘડો થયોહત્યાના પહેલા બનાવમાં મળતી માહિતી પ્રમાણે, મૂળ મધ્ય પ્રદેશ અને સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા અંજની ઇન્ડસ્ટ્રીયલ માં સંચા ખાતામાં 40 વર્ષીય ગિરધારી સિપાહીયા વર્મા કામ કરતો હતો અને ભાઈ રામલોચન સાથે રહેતો હતો. ત્રણેક દિવસ પહેલા ગામના જ વતની અને મિત્ર એવા કમલેશ ઘરની પાસેથી ઘર ખર્ચ માટે 2000 રૂપિયા હાથ ઊચી ના લીધા હતા. ગઈકાલ સાંજના સમયે ગિરધારી પાસે કમલેશે પૈસાની ઉઘરાણી કરીને બોલાચાલી કરી હતી. આ સાથે જ અપ શબ્દો કહીને ઝઘડો કરવા લાગ્યો હતો. આરોપીએ મિત્રના મોટા ભાઈને માથામાં દંડો મારતા ઘટનાસ્થળે જ મોતગિરધારી સાથે કમલેશ ઝઘડો કરતો હોવાથી ગિરધારીનો મોટો ભાઈ લોચન ઉર્ફે રામ લોચને કમલેશને અપશબ્દો નહીં બોલવા અને અહીંથી જતો રહેવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન અંજની વિભાગ ચાર સમજુબા હાઉસની સામે જાહેર રોડ પર કમલેશે લાકડાનો ડંડો લઈને મિત્ર ગિરધારીના મોટાભાઈ રામલોચને માથામાં મારી દીધો હતો. જેના પગલે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંગે ગિરધારીએ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ગણતરીના કલાકોમાં અમરોલી પોલીસે આરોપી કમલેશ સાહુને ઝડપી પાડ્યો છે. અસામાજિક તત્વોએ પાનના ગલ્લા પાસે યુવક સાથે ઝઘડો કર્યોબીજા હત્યાના બનાવમાં મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશનો 25 વર્ષીય જુનૈદ જીયાઉલ અંસારી વેડ રોડ વિસ્તારમાં આવેલા શ્રીરામ નગરના મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહેતો હતો. જુનેદ અડાજણ ગેલેક્સી સર્કલ ખાતે આવેલ ઇમિગ્રેશન ઓફિસમાં નોકરી કરતો હતો. પિતા હોસ્પિટલની બાજુમાં ઈંડાની લારી અને એક પાનનો ગલ્લો પણ ચલાવે છે. ગતરોજ રાત્રે 11:45 આસપાસ વેડરોડ વિસ્તારમાં જ રહેતો અસામાજિક તત્વ એવો હાર્દિક ઉર્ફે ભોળો દલવાણીયા અને તેના મિત્રો અન્ય એક યુવક સાથે ઝઘડો કરતા કરતા જુનેદના પિતાના ગલ્લાની પાસે આવ્યા હતા. તારે શું લેવાદેવા છે કહીને તમાચો ઝિંકી દીધોજુનેદના પિતાએ ઝઘડો ન કરવા માટે ટકોર કરી હતી અને જણાવ્યું હતું કે, અહીંયા મારો ધંધો છે તમે અહીં ઝઘડો નહીં કરો ઝઘડો કરવો હોય તો સાઈડમાં જતા રહો. જોકે હાર્દિક અને તેના મિત્રો ઝઘડો કરતા હતા. આ દરમિયાન જુનેદ નો મિત્ર દિલીપ તરસરીયા પણ આવી ગયો હતો. તેમણે પણ ઝઘડો કરી રહેલા હાર્દિક સહિતના અસામાજિક તત્વોને ઝઘડો ન કરવા માટે ટકોર કરી હતી. જેના પગલે તેને કહ્યું હતું કે, તારે શું લેવાદેવા છે તેમ કરી તેને એક તમાચો મારી દીધો હતો અને ઝપાઝપી શરૂ કરી દીધી હતી. યુવકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું મિત્ર દિલીપ સાથે ઝઘડો થતો હોવાનું જોઈને જુનેદ છોડાવવા માટે ગયો હતો. આ દરમિયાન હાર્દિકે તેની પાસે રહેલ ચપ્પુથી જુનેદના જમણા સાથળના પાછળના ભાગે ઘા મારી દીધો હતો. ત્યારબાદ ત્યાંથી ભાગી ગયો હતો. હાર્દિકની સાથે રહેલા તેના બે મિત્રોને પકડી પાડવામાં આવ્યા હતા. આ સાથે જુનેદને ગંભીર ઇજા પહોંચી હોવાથી પિતા સહિતનો પરિવાર ત્રણ ખાનગી હોસ્પિટલ ફર્યો હતો. ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર કરવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જુનેદના મોતના પગલે પિતા દ્વારા હાર્દિક દલવાણીયા અને તેના બે મિત્રો વિરુદ્ધ હત્યા ની ફરિયાદ નોંધાવી હતી. ચોક બજાર પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જે પૈકી એક આરોપી સગીર હોવાનું સામે આવ્યું છે. હાલતો ચોક બજાર પોલીસ દ્વારા ત્રણેયની ધરપકડ કરીને વધુ કાર્યવાહી યાદ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 10:30 pm

કલોલ પૂર્વમાં ચોમાસાથી ક્ષતિગ્રસ્ત રોડનું સમારકામ શરૂ:મુખ્યમંત્રીની ગ્રાન્ટમાંથી તહેવારો પૂર્વે કામગીરી વેગવંતી

કલોલ પૂર્વ વિસ્તારમાં ચોમાસાથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ચોમાસામાં નુકસાન પામેલા રોડ-રસ્તાઓના સમારકામ માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટ અંતર્ગત રઘુવીર ચોકડી આસપાસના વિસ્તારોમાં આ કામગીરી હાથ ધરવામાં આવી છે. ભાજપ શાસિત નગરપાલિકાના કાઉન્સિલરો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓની સતત રજૂઆતો બાદ તંત્ર દ્વારા આ પ્રજાલક્ષી કામગીરી શરૂ કરાઈ છે. શહેરના મુખ્ય તેમજ આંતરિક વિસ્તારોમાં તાત્કાલિક પેચવર્ક શરૂ થતાં નાગરિકોમાં તહેવારો પૂર્વે આનંદની લાગણી જોવા મળી છે. આનાથી વાહનચાલકોને મોટી રાહત મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરાઈ છે. સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે, “આ પ્રકારની વિકાસકારી કામગીરી શહેરના સર્વાંગી વિકાસ તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.”

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 10:18 pm

વિસનગરમાં રાજ્યનો પ્રથમ ભજન સંધ્યા કાર્યક્રમ:305 મંડળીઓ, હેમંત ચૌહાણ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં

ગુજરાતના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાના હેતુથી રાજ્ય સરકારે વિસનગરમાં સૌપ્રથમવાર ભજન સંધ્યા કાર્યક્રમ યોજ્યો. વિસનગર APMC ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વિસનગર તાલુકા અને શહેરની 305 થી વધુ ભજન મંડળીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમ 'અલખનાં ઓટલા' પર યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને સાંસ્કૃતિક મંત્રી મૂળુભાઇ બેરા સહિત ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યો, અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 'વિકાસ પણ – વિરાસત પણ' સૂત્રને સાકાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પદ્મશ્રી હેમંત ચૌહાણે કાર્યક્રમમાં ભજનની સુરાવલી રજૂ કરી, જેના માટે મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યને બદલે આહુતિ આપીને કરવામાં આવી હતી, જેણે પરંપરાગત અને આધ્યાત્મિક વાતાવરણ સર્જ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી સહિત મંત્રીઓના હસ્તે તમામ 305 ભજન મંડળીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત, ભજન ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનારી શ્રેષ્ઠ 11 ભજન મંડળીઓને ₹21,000 આપીને પ્રોત્સાહિત કરવામાં આવી. આ મંડળીઓમાં ગોપી ગોકુળ મંડળ, વિશ્વકર્મા ભજન મંડળ, રાધા કૃષ્ણ મંડળ, સખત ગોપી મંડળ, ઉમિયા મહિલા મંડળ કાંસા, સુરથા મંડળ, કૃષ્ણ મહિલા મંડળ બોકરવાળા, લબ્ધી મંડળ, શિવ શક્તિ મંડળ ઉમતા, બાલા ભૂચર આનંદ મંડળ અને ગોપી મંડળનો સમાવેશ થાય છે. વિસનગરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત – ખાસ કરીને ભજન સંગીત – ગામડાંઓ અને શહેરોમાં આજે પણ જીવંત છે. જોકે, આ વિરાસતને સક્રિય રીતે જાગૃત કરવાના પ્રયાસો ઓછા થયા છે. આ જ હેતુસર 'આજની રાત રઢિયામણી' ભજન સંધ્યાનો કાર્યક્રમ વિસનગર વિધાનસભા વિસ્તારમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય આશય એ હતો કે ભજનિકો, કલાકારો અને વાદ્ય વાદકોને એક મંચ મળે, જ્યાં તેઓ પોતાની કલા પ્રસ્તુત કરીને ભજનના મહિમાને ઉજાગર કરી શકે. ભજન સંગીત એવું છે જે ફક્ત તનને જ નહીં, પણ મન અને તનને પરમાત્મા સાથે એકાકાર કરે છે. કાર્યક્રમમાં બહેનોનો ઉત્સાહ જોવા જેવો હતો. આ સુંદર કાર્યક્રમમાં જાણીતા ભજન ગાયક હેમંતભાઈ ચૌહાણ અને મંત્રી મૂળુભાઈ બેરાના વિભાગ તરફથી મદદ મળી હતી, અને તેમની હાજરીમાં આ ભજન સંધ્યા વિસનગર ખાતે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. કાર્યક્રમના અંતે સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું. વિસનગરમાં યોજાયેલા આ કાર્યક્રમે ગુજરાતની ભક્તિ-સંસ્કૃતિને નવી ઓળખ આપી.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 10:12 pm

નવાબંદર સામૂહિક દુષ્કર્મ કેસમાં આરોપીઓનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન:લોકો ઉમટી પડ્યા, 'પોલીસ ઝિંદાબાદ'ના નારા સાથે કામગીરી બિરદાવી

ઉનાના નવાબંદર મરીન પોલીસે સામૂહિક દુષ્કર્મ કેસના બે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને પોલીસની કામગીરીને બિરદાવી હતી. આ ઘટના 12 ઓક્ટોબરના રોજ સવારે બની હતી. થોડા દિવસો અગાઉ, નવાબંદર ગામના નરેન્દ્ર ઉર્ફે કાળિયો દેવચંદ અને સંજય ઉર્ફે કાળિયો સહિત ત્રણ આરોપીઓએ પાલડી ગામમાંથી એક આધેડ મહિલાનું કેમિકલ સુંઘાડી બાઈક પર અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેઓ મહિલાને નવાબંદર દરિયા કિનારે આવેલા આરોપી નરેન્દ્ર ઉર્ફે કાળિયાના ઘરે લઈ ગયા હતા અને ત્યાં સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આ ત્રણેય આરોપીઓને દરિયામાં 25 નોટિકલ માઈલ અંદરથી સાવચેતીપૂર્વક પકડી પાડ્યા હતા. તેમને કોર્ટમાં રજૂ કરીને સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારબાદ નવાબંદર મરીન પોલીસ અધિકારી એચ. એલ. જેબલિયાએ તપાસનો દોર સંભાળી લીધો હતો. 12 ઓક્ટોબરના રોજ મરીન પોલીસ અધિકારી અને ડી-સ્ટાફનો મોટો કાફલો આરોપીઓ નરેન્દ્ર ઉર્ફે કાળિયો દેવચંદ અને સંજય ઉર્ફે કાળિયાને દોરડાં બાંધીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તે ઘટનાસ્થળે લઈ પહોંચ્યો હતો. ત્યાં રિકન્સ્ટ્રક્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. figure class=custom-ckfigure image> આ સમયે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને આરોપીઓ સામે ફિટકાર વરસાવી 'પોલીસ ઝિંદાબાદ'ના નારા લગાવ્યા હતા, સાથે જ પોલીસની કામગીરીને બિરદાવી હતી. પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આરોપીઓની આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો અને ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્થળ નિરીક્ષણ પંચનામું કર્યું હતું. <

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 10:07 pm

દમણ દરિયા કિનારેથી યુવકનો મૃતદેહ મળ્યો:વાપીનો ગુમ થયેલો 22 વર્ષીય યશ પટેલ મૃત હાલતમાં મળ્યો

સંઘપ્રદેશ દમણના મોટી દમણ લાઈટ હાઉસ નજીકના દરિયા કિનારેથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતકની ઓળખ વાપીના ડુંગરા વિસ્તારમાં રહેતા 22 વર્ષીય યશ દિનેશભાઈ પટેલ તરીકે થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, યશ પટેલ 9મી તારીખની રાત્રે બાઈક લઈને ઘરેથી નીકળ્યો હતો. મોડી રાત સુધી તે પરત ન ફરતા, તેના પરિજનોએ ડુંગરા પોલીસ મથકે તેની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આજરોજ સવારે તેનો મૃતદેહ મોટી દમણ લાઈટ હાઉસ નજીકના દરિયા કિનારે તણાઈ આવેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં યુવાને માનસિક તણાવને કારણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 9:47 pm

બોટાદના ડખ્ખાની વચ્ચે રાજકોટમાં ઈટાલિયાની જાહેરસભા:મવડી ચોકડી પાસે બાપા સીતારામ ચોકમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

બોટાદમાં આપની મહામહાપંચાયતમાં થયેલા ઘર્ષણની વચ્ચે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા રાજકોટમાં જનસભા સંબોધવા પહોંચ્યા છે. મવડી ચોકડી નજીક આવેલા બાપા સીતારામ ચોકમાં ઈટાલિયાને સાંભળવા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. રાજકોટ પહોંચેલા ઈટાલિયાનું માલધારી સમાજની બહેનો દ્વારા સ્વાગત કરાયું હતું.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 9:29 pm

પંચમહાલ SOGએ 400 લીટર શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી ઝડપ્યું:ગોધરાના કેપ્સ્યુલ પ્લોટમાં રહેણાંક મકાનમાંથી જથ્થો કબજે

પંચમહાલ SOG પોલીસે ગોધરા શહેરના કેપ્સ્યુલ પ્લોટ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી 400 લીટર શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી ઝડપી પાડ્યું છે. 11 ઓક્ટોબરની મોડી રાત્રે કરાયેલી આ કાર્યવાહીમાં આશરે 28,000 રૂપિયાની કિંમતનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, પંચમહાલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમી મુજબ, કેપ્સ્યુલ પ્લોટ વિસ્તારમાં રહેતા કાસમ યુસુફ કલંદર નામના વ્યક્તિએ પોતાના મકાનમાં શંકાસ્પદ પ્રવાહીનો જથ્થો રાખ્યો હતો. આ બાતમીના આધારે, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી કાસમ યુસુફ કલંદરના રહેણાંક મકાન પર છાપો માર્યો હતો. રેડ દરમિયાન, પોલીસને મકાનમાંથી 20 જેટલા કારબા મળી આવ્યા હતા, જેમાંથી કુલ 400 લીટર શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી મળી આવ્યું હતું. પોલીસે આશરે 28,000 રૂપિયાની કિંમતના તમામ શંકાસ્પદ પ્રવાહીનો જથ્થો કબજે કર્યો છે. આ પ્રવાહીને વધુ તપાસ અને પૃથ્થકરણ માટે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ખાતે મોકલવામાં આવ્યું છે. આ અંગે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 9:24 pm

વડોદરાના સમાચાર:સુપ્રીમ કોર્ટના નવા કાયદાને લઈ કોચિંગ ક્લાસના સંચાલકોની બેઠક મળી

દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં રાજય સરકારોને કોચિંગ સ્ટડી સેન્ટરોનું બરાબર નિયમન થાય તે માટે ગાઈડલાઈન બનાવવાની સુચના આપતા ગુજરાત સરકાર પણ હરકતમાં આવી છે. જેને કારણે કોચિંગ ક્લાસ ચલાવતા સંચાલકોમાં ફફળાટ વ્યાપી જવા પામ્યો છે. કોચિંગ ક્લાસમાં 150થી વધુ સંચાલકોની અગત્યની મિટિંગ યોજાઈ હતીઆજે શહેરની મધ્યમાં એક ખાનગી કોચિંગ ક્લાસમાં 150થી વધુ સંચાલકોની અગત્યની મિટિંગ યોજાઈ હતી. જેમાં આ નવા આવનારા કાનુનથી ક્યાં પ્રકારના બદલાવ કરવા પડશે, તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આજના આ કાર્યક્રમમાં કેતન પુરાણી,અશ્વિન પરમાર, યુનિવર્સિટીના પુર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, રઘુવીર સર સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત કોચિંગ ક્લાસ સંચાલકોને આવનારા કાયદા અને નિયમો અંગે વિસ્તૃત સમજ આપી હતી. કમિટીમાં કોચિંગ ક્લાસ એસોસિયેશનના પ્રતિનિધિઓને પણ સામેલ કરવાની માંગઅત્રે ઉલ્લેખનીય છે કે, હમણાં થોડા વર્ષોમાં આગના અને આપધાતના બનાવોમાં વિદ્યાર્થીઓમાં કેરીયરને લઈને વધુ પડતો તણાવ વગેરે કિસ્સાઓ નોંધપાત્ર રીતે વધી રહ્યા છે અને એના કારણે કોર્ટોમાં થયેલી રીપીટીશનના કારણે સરકાર ઉપર પણ આ અંગે કાયદો બનાવવા દબાણ વધી વધ્યું છે. આજે મળેલી બેઠકમાં સરકારે આ અંગે કમિટી બનાવી છે ત્યારે જેમને સીધી અસર થવાની છે એવા કોચિંગ ક્લાસ એસોસિયેશનના પ્રતિનિધિઓને પણ સામેલ કરવાની માંગ કરવામાં આવનાર છે. આ અંગે આગામી દિવસોમાં સરકારને કોચિંગ ક્લાસ એસોસિયેશન રજુઆત કરનાર છે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 9:18 pm

હત્યાના ત્રીજા દિવસે મામાએ ખાડીમાં ફેંકેલા ભાણેજના બે અંગ મળ્યા:1 હજારથી વધુ પોટલા ફંગોળ્યા બાદ પોલીસને 7 કિ.મી. દૂર બ્રિજ નીચેથી પગ અને કોથળામાંથી ધડ મળ્યું, હજુ 5 અંગ ગુમ

સુરતના ઉધનામાં મામાએ ભાણેજની હત્યા કરી લાશના ટુકડા કરી થેલામાં પેક કરી ભાઠેના ખાડીમાં ફેંકી દીધા હતા. ભાઠેના ખાડીમાં લાશના ટુકડાના થેલાને શોધી રહેલા ફાયરજવાનોને આજે ત્રીજા દિવસે બમરોલી ખાડી બ્રિજ પાસેથી યુવાનનો એક છૂટો પગ અને કોથળામાંથી ધડ મળી આવ્યા હતા. જેથી,ફાયરના જવાનોએ અંગોને બહાર કાઢીને પોલીસને કબજો સોંપ્યો હતો. મામાએ ભાણેજની હત્યા કરીને લાશના અલગ-અલગ ટુકડા ખાડીમાં ફેંક્યા હતામળતી માહિતી અનુસાર, ભાઠેના ખાતે આવેલ શિવશક્તિ સોસાયટીમાં રહેતો 30 વર્ષીય મોહમંદ ઇફ્તખાર વાજીદ અલી સાથે ભાણેજ મોહમંદ આમિર આલમ (ઉ.વ.20) સાથે ભાઠેના વિસ્તારમાં સિલાઈ મશીનનું ખાતું ચલાવતા હતા. સિલાઈ મશીનના ધંધાના હિસાબ નહીં આપવાના મુદે બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી મામાએ હથોડી વડે ભાણેજની નિર્મમ હત્યા કરી હતી અને બાદમાં તેની લાશના અલગ-અલગ સાત ટુકડા કરી પાંચ જેટલા થેલામાં પેક કરી ભાઠેના ખાડીમાં ફેંકી દીધા હતા. ફાયર લશ્કરોએ બોટમાં બેસીને 7 કિલોમીટર સુધી શોધખોળ હાથ ધરી હતીશુક્રવારે બપોરે ફાયર બ્રિગેડને કોઈક વ્યક્તિ દ્વારા લાશના ટુકડા થેલામાં પેક કરી ભાઠેના ખાડીમાં ફેંક્યા હોવાનો કોલ મળ્યો હતો. ફાયરજવાનોએ ભાઠેના ખાડીમાં બોટમાં બેસી સતત બે દિવસ સુધી શોધખોળ કરતા લાશના ટુકડાઓ મળ્યા ન હતા. જેથી આજે ત્રીજા દિવસે ફરી ફાયર લશ્કરોએ બોટમાં બેસીને ભાઠાના ખાડીની આસપાસ લઇને 5થી 7 કિલોમીટર સુધી શોધખોળ હાથ ધરી હતી. ફાયરજવાનોએ એક પગ અને ધડ પાણીમાંથી બહાર કાઢીને કબજો પોલીસને સોંપ્યો ફાયરના જવાનોને ત્રીજા દિવસે ભારે શોધખોળ બાદ આખરે આજે બમરોલી ખાડી બ્રિજ નીચેથી યુવાનનો એક છૂટો પગ મળ્યા હતો. બાદમાં તેની આગળથી એક થેલામાં ધડ મળી આવ્યુ હતું. ફાયરજવાનોએ એક પગ અને ધડ પાણીમાંથી બહાર કાઢીને કબજો પોલીસને સોંપ્યો હતો. બાદમાં ફાયરજવાનોએ લાશના અન્ય ટુકડાની મોડી સાંજ સુધી શોધખોળ કરતા ભાળ મળી નહોતી. પોલીસ જવાનો દ્વારા 1,000થી વધુ પોટલા ફંગોળવામાં આવ્યા હતાઆ મામલે ઉધના પોલીસ સ્ટેશનના પીઆઇ એસ એન દેસાઈએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસથી 6 ફાયર જવાનોની ટીમ અને 10 પોલીસ જવાનોની ટીમ દ્વારા સતત શોધ ખોળ કરવામાં આવી રહી હતી. પોલીસ જવાનો દ્વારા 1,000 થી વધુ પોટલા ફંગોળવામાં આવ્યા હતા. હજુ બે અંગો જ મળ્યા છે બીજા અંગોની શોધખોળ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 8:59 pm

રાજકોટ ક્રાઇમ ન્યૂઝ:હનુમાનદાદાના આશ્રમમાં ઝાડ પર ફાંસો ખાઈને અજાણ્યા યુવાનનો આપઘાત

રાજકોટના પુનિતનગર વિસ્તારમાં આજે બપોરે 2:00 વાગ્યા આસપાસ વાવડી પોલીસ ચોકીની સામે મોજે-મોજ હનુમાનદાદાના આશ્રમમાં ઝાડ સાથે એક અજાણ્યો પૂરુષ લટકેલી હાલતમાં હોવાનું માલૂમ પડતા 108 એમ્બ્યુલન્સને ફોન કરવામાં આવ્યો હતો, જેથી એમ્બ્યુલન્સ તબીબી સ્ટાફ સાથે ત્યાં પહોંચી ગઈ હતી. જોકે, તબીબે યુવાનને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. જે બાદ આ યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે 112ના ઇન્ચાર્જ ASI દ્વારા રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી. જોકે, આ યુવાન કોણ છે, કઈ જગ્યાએ રહે છે અને કયા કારણોથી આપઘાતનું અંતિમ પગલું ભરી લીધું તે અંગે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. એસ.ટી. બસપોર્ટમાંથી યુવાનનો મોબાઈલ ચોરી કરતો શખ્સ બાલાજી મંદિર પાસેથી ઝડપાયોસુરેન્દ્રનગરના મુળીમાં વેળાલાધ્રા (રાસીંગપર) ગામમાં રહેતા અને ખેતી કામ કરતા 21 વર્ષીય નિકુલ નાગરભાઇ રાઠોડ ગત તા.9 ઓક્ટોબરના રાત્રિના 2:00 વાગ્યા આસપાસ શહેરના એસટી બસપોર્ટમાં પોલીસ ચોકીની સામે સીડી પાસે સૂતા હતા ત્યારે અજાણ્યો શખ્સ યુવાનનો રૂપિયા 30,000 ની કિંમત નો મોબાઇલ ચોરી ફરાર થઈ ગયો હતો જેથી આ અંગે યુવાન દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બાદ બાતમીના આધારે પોલીસે કનક રોડ ઉપર બાલાજી હનુમાન મંદિર પાસેથી એક શખ્સને શંકાસ્પદ સ્માર્ટ મોબાઇલ ફોન સાથે પકડી પાડવામાં આવ્યો હતો. જે બાદ તે શખ્સ પાસેથી મોબાઇલ ફોનનું બીલ કે આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા . જોકે, તેની પાસે કોઈપણ પ્રકારના આધાર પુરાવા ન હતા. જેથી પોલીસે ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતા તે શખ્સ ભાંગી પડ્યો હતો અને પોતે આ મોબાઇલ ફોન રાજકોટ એસ.ટી.બસ સ્ટેન્ડ ખાતેથી આશરે બે દિવસ પહેલા ચોરી કરેલો હોવાની કબૂલાત આપી હતી. આ શખ્સ શહેરમાં આરટીઓ કચેરી પાછળ નરસિંહ નગર શેરી નંબર 7 મા રહેતો અને મજૂરી કામ કરતો 38 વર્ષીય વિજય લઘુશંકર ધામેલ હોવાનું સામે આવતા પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. દૂધ ભરવાનો ખાર રાખી યુવાન પર હૂમલોશહેરના મોરબી રોડ ઉપર ખાખી મંદિર પાસે રહેતા અને ડ્રાઇવિંગ કરતા 40 વર્ષીય અનિરુધ્ધ નિમાવતે કુવાડવા રોડ પોલીસ મથકમાં વિપુલ ઉર્ફે એક્કો, બાબુ ઝાપડા તથા તપાસમાં ખુલ્લે તે તમામ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, 11 મી ઓક્ટોબરના રાત્રિના 8 વાગ્યા આસપાસ રતનપર ગામમાં રામજી મંદિરની સામે હતો ત્યારે દૂધ ભરવાનો ખાર રાખી વિપુલે ગાળો આપી પોતાના હાથમાં રહેલ કુંડલીવાળા લાકડાના ધોકા વડે જમણા પગના ગોઠણના ભાગે તથા વાંસાના ભાગે તથા હાથે પગે પાટા વડે માર મારી ઇજા પહોંચાડી હતી તથા બાબુએ લોખંડના પાઇપ વડે માથાના ભાગે માર મારતા ટાકા આવ્યા હતા. ઘઉંમાં નાખવાના ટીકડા ખાઇ જતા યુવાનનું સારવારમાં મૃત્યુશહેરના સંત કબીર રોડ ઉપર બાલકૃષ્ણ સોસાયટી શેરી નંબર 19 માં રહેતા 42 વર્ષીય અનિલભાઈ ધનજીભાઈ કારેણાએ આજે સવારે 8 વાગ્યે કોઈ કારણોસર ઘઉમાં નાખવાના ટીકડા ખાઇ જતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જોકે તેનું ટૂંકી સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું હતુ. આધેડ પર મહિલા સહિત 3 શખસનો હૂમલોશહેરના કોઠારીયા રોડ ઉપર ત્રણ માળીયા ક્વાટરમાં રહેતા 50 વર્ષીય વેપારી અબ્દુલભાઇ હુસેનભાઇ ઠેબાએ ડિમ્પલબેન, કમલેશભાઈ અને એક અજાણ્યા શખ્સ સામે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, પુત્ર સમીર અને ડિમ્પલબેનના પતિ કમલેશભાઈ મિત્રો હોય એકબીજાના ઘરે આવતા હતા જે ડિમ્પલબેનને ગમતું ન હતુ. 11 ઓક્ટોબરના બપોરે 12:30 વાગ્યે તેઓ ઘરની બહાર નીકળ્યા ત્યાં ડિમ્પલબેને અબ્દુલભાઈ અને તેમના પત્ની ફરીદાબેનને ગાળો આપી હતી. આ દરમિયાન કમલેશભાઈએ અબ્દુલભાઈને પકડી રાખ્યા હતા અને ડિમ્પલબેને આધેડના ડાબા ખભ્ભાના ઉપરના ભાગે છરીનો ઘા મારી દીધો હતો જેને લીધે લોહી વહેવા લાગ્યું હતું. આ દરમિયાન અજાણ્યા શખ્સે લોખંડના પાઈપ વડે મારતા પાંસળીમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. બાદમાં ડિમ્પલબેને 'તમને ત્રણેય બાપ દીકરાને પતાવી દેવા છે. ' તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પત્ની 4 વર્ષની બાળકી સાથે ગૂમશહેરના ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં કોઠારીયા મેઈન રોડ ઉપર સૂર્યદેવ સોસાયટી શેરી નંબર - 4 માં રહેતા 28 વર્ષીય ગૌરવભાઇ ભરતભાઇ પિલોજપરાએ ભક્તિનગર પોલીસ મથકમાં પત્ની અને પુત્રી ગૂમ થઈ ગયાની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, 28 વર્ષીય પત્નિ પુજાબેન પોતાની સાથે 4 વર્ષની દિકરી શિવાંક્ષીને લઇને તા. 11 ઓક્ટોબરના સવારના 9.30 વાગ્યા પહેલા કોઇ કારણોસર પોતાના ઘરેથી કયાંક જતા રહ્યા છે. જેથી પોલીસે જાણવા જોગ નોંધ કરી પતિની ફરિયાદ પરથી પત્ની અને તેની બાળકીને શોધી કાઢવા માટે તપાસ શરૂ કરી છે. ખેરવા ગામની સીમમાં બિનવારસુ કારમાંથી 765 બોટલ દારૂ કબ્જે​​​​​​​રાજકોટ શહેરની પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખેરવા ગામની સીમમાં યાસીન એલોય કારખાના પાસે આવેલ ખુલ્લા પટમાંથી સ્વીફટ કારમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે જેમાં મારૂતી સ્વીફટ કાર નં.(જી.જે.13.એ.એમ.6284) માંથી રૂ.97,920 ની કિંમતની 765 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ.4 લાખની કાર પણ કબજે કરી છે. જોકે કાર ચાલક ન હોવાથી તેને પકડી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 8:32 pm

ખેડામાં 'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી'નો નારો ગુંજશે:આત્મનિર્ભર ભારત માટે જિલ્લા ભાજપનું અભિયાન, ત્રણ મહિના સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે

આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાના વ્યાપક રાષ્ટ્રવ્યાપી અભિયાનના ભાગરૂપે, ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નડિયાદ ખાતે પત્રકાર પરિષદ અને કાર્યકર પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ ભાજપના માર્ગદર્શન મુજબ, આ અભિયાનનો પ્રારંભ 25મી સપ્ટેમ્બરથી થયો છે, જે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના જન્મદિન, 25મી ડિસેમ્બર સુધી અનેકવિધ કાર્યક્રમો દ્વારા ચાલુ રહેશે. આ અંગે યોજાયેલા કાર્યકર વર્કશોપમાં ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, આત્મનિર્ભર ભારતના પ્રદેશ કો-ઓર્ડિનેટર શબ્દ શરણ બ્રહ્મભટ્ટ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, પ્રદેશ ભાજપ મંત્રી જનવી વ્યાસ, નડિયાદના સિનિયર ધારાસભ્ય પંકજ દેસાઈ સહિત અન્ય ધારાસભ્યો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સ્વદેશી અને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ લીધો હતો. પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને 'ઘેર ઘેર' ગુંજતો કરવા માટે આગામી ત્રણ મહિના સુધી કાર્યક્રમોનું આયોજન કરાશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ માત્ર ભાજપનો જ નહીં, પરંતુ સમગ્ર ભારતનો છે, જેમાં તમામ ભારતીયો જોડાશે. સ્વદેશીની આ વાત શાળા-કોલેજના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે. ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલે જણાવ્યું હતું કે આ અંગે જિલ્લા સ્તરે વર્કશોપ યોજાયા બાદ હવે મંડલ સ્તર સુધી સ્વદેશી અને આત્મનિર્ભર ભારતનો સંદેશો પહોંચાડવા માટે વિવિધ કાર્યક્રમો યોજાશે. નિબંધ સ્પર્ધાઓ અને શેરી નાટકો જેવા માધ્યમો દ્વારા પણ સ્વદેશીની વાત જન-જન સુધી લઈ જવામાં આવશે. આ કાર્યક્રમમાં સમગ્ર સ્વદેશી અભિયાનના જિલ્લા સંયોજક ગોપાલ શાહ, ધારાસભ્યો કલ્પેશ પરમાર, સંજયસિંહ મહિડા, જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રીઓ અપૂર્વ પટેલ, અમિતસિંહ ડાભી, રાજેશ પટેલ વગેરે અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 8:29 pm

અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ:દિવાળી પહેલા ક્રાઇમબ્રાંચે પિસ્ટલ અને કારતુસ સાથે યુવકને ઝડપી લીધો

દિવાળીના તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે જ ક્રાઈમ બ્રાંચની ટીમે દાણીલીમડા બોમ્બે હોટલ પાસેથી એક યુવકને ગેરકાયદેસર પિસ્ટલ અને બે કારતૂસ સાથે ઝડપી લીધો હતો. હથિયાર સાથે ઝડપાયેલો જાવેદ ઉર્ફે બાબુ દાણીલીમડાના સોયેબ ઉર્ફે તોતુ પાસેથી હથિયાર લાવ્યો હોવાનું સામે આવ્યું છે.આરોપી હથિયાર શા માટે લાવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી જેના આધારે દાણીલીમડાના ફૈસલનગર બોમ્બે હોટલ પાસેથી એક યુવકને ઝડપી લીધો હતો.પૂછપરછ કરતાં તેનું નામ જાવેદહુસૈન ઉર્ફે બાબુ બશીરઅહમદ અંસારી (ઉંમર 32, રહેવાસી ફૈસલનગર, દાણીલીમડા) હોવાનું જાણવા મળ્યું હતું. જાવેદને તપાસ કરતા તેની પાસે એક પિસ્ટલ અને બે કારતૂસ મળી આવ્યા હતા.પોલીસે તે હથિયાર કબજે કર્યા હતા અને આ હથિયાર તેણે દાણીલીમડાના સોયેબ ઉર્ફે તોતુ પાસેથી મેળવ્યા હોવાની કબૂલાત કરી હતી.જેના પગલે પોલીસે તોતુને વોન્ટેડ જાહેર કરીને તપાસ શરૂ કરી છે. બીજી તરફ, બાબુ હથિયાર લઈને કોઈ ઘટનાને અંજામ આપવા નીકળ્યો હતો કે કેમ, તેની પણ તપાસ હાથ ધરાઈ છે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 8:27 pm

અમરેલીમાં ખરાબ માર્ગો: નેતાઓ-અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું:દિવાળી પહેલા પેચવર્ક પૂર્ણ કરવા સૂચના, ગુણવત્તા જાળવવા ભાર

અમરેલી જિલ્લામાં માર્ગોની અત્યંત ખરાબ સ્થિતિને પગલે તંત્ર સક્રિય થયું છે. જિલ્લાના મોટાભાગના હાઈવેની હાલત ખરાબ હોવાથી વાહનચાલકો પરેશાન હતા. ખાસ કરીને રાજુલાના હિંડોરણા ચોકડીથી રાજુલા, બાઢડા, સાવરકુંડલા અને અમરેલી સુધીના માર્ગ પર 200થી વધુ ખાડા પડ્યા હતા. નવરાત્રી પહેલા મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકમાં માર્ગો પર પેચવર્ક ઝડપથી કરવા સૂચના આપી હતી, જેથી પ્રજાને હાલાકી ન પડે. જોકે, આ સૂચના છતાં કામગીરીમાં વિલંબ થતા વાહનચાલકોમાં રાજ્ય સરકાર સામે રોષ વધ્યો હતો. રાજુલા-સાવરકુંડલા વચ્ચેના માર્ગોની સ્થિતિ વધુ ખરાબ હતી. માર્ગ અને મકાન વિભાગ તથા NH દ્વારા કામગીરી શરૂ કરાઈ હતી, પરંતુ તેની ધીમી ગતિને કારણે આજે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા અને સાંસદ ભરત સુતરીયાએ અધિકારીઓ સાથે રાજુલા-સાવરકુંડલા વચ્ચેના માર્ગની મુલાકાત લીધી હતી. તેમણે સ્થળ નિરીક્ષણ કરી પેચવર્કની કામગીરી યોગ્ય ગુણવત્તા સાથે કરવા સૂચના આપી. દિવાળીના તહેવારને કારણે વાહનચાલકોની અવરજવર વધવાની હોવાથી, લોકપ્રતિનિધિઓએ અધિકારીઓને દિવાળી પહેલા ઝડપથી કામગીરી પૂર્ણ કરવા આદેશ આપ્યા હતા. તેમણે પેચવર્ક કામગીરીનું યોગ્ય સુપરવિઝન કરવા પર પણ ભાર મૂક્યો હતો.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 8:20 pm

વલસાડ રવિવારી બજારમાં દિવાળી પૂર્વે ભીડ જામી:ઘર સજાવટ, કપડાંની ખરીદી માટે લોકો ઉમટ્યા

દિવાળી પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે વલસાડ શહેરની રવિવારી બજારમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા હતા. બજારમાં ઘર સજાવટનો સામાન, ડેકોરેશન આઇટમ્સ, નાના બાળકોના કપડાં, ચાદર, ઓશિકાના કવર અને અન્ય જરૂરિયાતની વસ્તુઓની ખરીદી માટે ગ્રાહકોની અવરજવર વધી છે. આ વર્ષે GSTના દરોમાં ઘટાડો થતાં વસ્તુઓના ભાવોમાં રાહત મળી છે. જેના કારણે ગ્રાહકો ઉત્સાહપૂર્વક ખરીદી કરી રહ્યા છે. વેપારીઓના મતે, આ વર્ષે ખરીદીમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. દિવાળી પર્વને લઈને સમગ્ર વલસાડમાં આનંદ અને ઉમંગનું વાતાવરણ છવાયું છે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 8:18 pm

ટોલનાકામાંથી પસાર થઈ રહેલી કાર ભડભડ સળગી ઉઠી, VIDEO:સુરતથી ભાવનગર જઈ રહેલા પરિવારનો ચમત્કારિક બચાવ, ગણતરીની મિનિટમાં કાર ખાખ થઈ ગઈ

વડોદરા નજીક આવેલા દિલ્હી મુંબઈ હાઈવે ફાજલપુર ટોલનાકા પાસે નિશાન ટેરરોર ગાડીમાં અચાનક આગ લગતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં સદ નસીબે પાંચ લોકોનો આબાદ બચાવ થયો છે. આગ અંગેનો કોલ મળતા ટીપી 13 ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. સુરતથી ભાવનગર તરફ જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યોઆ આગનો બનાવ ફાજલપુર ટોલ પ્લાઝા પાસે સુરતથી ભાવનગર તરફ જઈ રહેલ ગાડીમાં બન્યો હતો. ગાડીમાં પાંચ લોકો સવાર હતા અને તેઓ સુરત તરફથી દિલ્હી મુંબઈ હાઈવે પર આવેલ ફાજલપુર ટોલનાકા પાસેથી પસાર થયા ત્યાં જ અચાનક ગાડીમાં આગ લગતા સમય સૂચકતા દાખવી નીચે ઉતરી ગયા હતા. જો કે આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જોત જોતામાં ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. આ સમાચાર પણ વાંચોઃ ડમ્પર સાથે અથડાયા બાદ આગ લાગતા એક્ટિવાચાલક ભડથું, VIDEO ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા આગ બળીને ખાખઆ ઘટના અંગે ટીપી તેર ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર કિરણ બારીયાએ જણાવ્યું હતું કે, આ આ અંગેનો કોલ અમને મળતા તાત્કાલિક અમે ઘટના સ્થળે પહોંચ્યા હતા. ડિસ્ટન્સ વધારે હોવાના કારણે થોડો સમય લાગ્યો હતો, ત્યાં સુધીમાં આગ મોટા ભાગની લાગી ગઈ હતી. અમે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટના અંગે વાહન માલિક દ્રુવિલ ગુજરાતીએ જણાવ્યું હતું કે, અમે સુરતથી ગામડે ભાવનગર જઈ રહ્યા હતાં. દરમ્યાન અચાનક આગ લાગી હતી. આ આગ લગતા અમારી ગાડીઓમાં રહેલા તમામ સભ્યો ઉતરી પડ્યા હતા. કોઈ જાનહાનિ થઈ નથી. નંદેસરી પોલીસ મથકમાં આવ્યા છીએ પછી ટેક્સી કરીને જઈશું.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 8:17 pm

ભુજમાં ફાયર વિભાગે ખાડામાં પડેલી ગાયને બચાવી:મીરજાપર રોડ નજીક ઝાડીમાંથી સફળ રેસ્ક્યુ કરાયું

ભુજ નગરપાલિકાના ફાયર વિભાગે મીરજાપર રોડ નજીક ઝાડીમાં આવેલા એક ખાડામાં ફસાયેલી ગાયનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે. આ ઘટનામાં અબોલ પશુને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું. સ્થાનિક જીવદયા પ્રેમીઓએ ફાયર વિભાગની આ કામગીરીને બિરદાવી હતી. આજ રોજ, 12 ઓક્ટોબર 2025 ના રોજ બપોરે 12:00 વાગ્યે ફાયર કંટ્રોલ રૂમને મીરજાપર-માંડવી રોડ પર એક ખાડામાં ગાય પડી હોવાનો કોલ મળ્યો હતો. કાંટાવાળી બાવળની ઝાડી અંદર રહેલા ખાડામાં ગાય પડી જવાથી સ્થાનિક જીવદયા પ્રેમીઓમાં ચિંતા ફેલાઈ હતી. જોકે, બચાવના પ્રયાસોમાં સફળતા ન મળતા તંત્રને જાણ કરાઈ હતી. માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર કર્મીઓએ સૂઝબૂઝ અને કુશળતાપૂર્વક ગાયનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ટીમે ગાયને સુરક્ષિત રીતે ખાડામાંથી બહાર કાઢી હતી. આ રેસ્ક્યુ ઓપરેશનમાં ભુજ ફાયર સ્ટાફના ડી.સી.ઓ. માતંગ ભાવેશ, ફાયરમેન અસલમ પટણી અને રુદ્ર જોશી તેમજ ટ્રેનિંગ સ્ટાફના સભ્યો જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 8:17 pm

સુરેન્દ્રનગરમાં બંદૂક સાથે એક ઝડપાયો:ઝેઝરી ગામના સીમ રસ્તેથી LCBએ દેશી બનાવટની બંદૂક જપ્ત કરી

સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારના ઝેઝરી ગામથી અંકેવાળીયા ગામ તરફ જતા સીમ રસ્તેથી એક ગેરકાયદેસર દેશી બનાવટની બંદૂક સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપીનું નામ વશરામભાઈ ઉર્ફે કિરણભાઈ ધનજીભાઈ વાટીયા છે. LCB અને પેરોલ ફર્લો સ્કોડની ટીમો દ્વારા જિલ્લા વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે, મૂળ મોટી કઠેચી, તા. લીંબડી, હાલ રહે. ઝેઝરી ગામની સીમ, તા. પાટડી, જિ. સુરેન્દ્રનગરના વશરામભાઈ ઉર્ફે કિરણભાઈ ધનજીભાઈ વાટીયા પાસેથી રૂપિયા 2,000/- ની કિંમતની એક ગેરકાયદેસર દેશી હાથ બનાવટની સિંગલ બેરલ મઝલલોડ બંદૂક જપ્ત કરવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ બજાણા પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 8:14 pm

જામનગરમાં 8 મકાનોમાં ચોરી, વૃદ્ધાને માર મારી લૂંટ:જે.જે. જશોદાનાથ સોસાયટીમાંથી લાખોની મતાની ચોરી

જામનગરમાં તસ્કરો બેફામ બન્યા છે. ગઈ રાત્રે શહેરના રણજીત સાગર માર્ગ પર આવેલી જે.જે. જશોદાનાથ સોસાયટીના આઠ મકાનોને નિશાન બનાવી લાખો રૂપિયાની મતાની ચોરી કરી હતી. આ દરમિયાન એક વૃદ્ધાને હથિયાર વડે માર મારી લૂંટી લેવામાં આવી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગત રાત્રે મોટરકાર અને બાઈક પર આવેલા બે શખ્સોએ સોસાયટીમાં પ્રવેશ કર્યો હતો. તેમણે આઠ મકાનોમાં ચોરીને અંજામ આપ્યો હતો. સોસાયટીના રહેવાસી યાજ્ઞિક દિનેશભાઈ ભંડેરીએ જણાવ્યું કે, તસ્કરો કબાટમાંથી રોકડ અને ઘરેણાં સહિતની કિંમતી ચીજવસ્તુઓ ચોરી ગયા હતા. એક મકાનમાં ઘરના ફળિયામાં સૂતેલા વૃદ્ધાને તસ્કરોએ હથિયાર વડે ડૂમો આપી બેફામ માર માર્યો હતો. તેમને ઈજા પહોંચાડી રોકડ અને ઘરેણાંની લૂંટ ચલાવી હતી. આ અંગે પ્રફુલભાઈ લખમણભાઈ ભાડજાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમની માતા દરવાજો ખોલતા જ બે લૂંટારુઓએ ગન જેવા હથિયાર વડે માર મારી, તેમને પછાડી કાનમાં પહેરેલા 50,000 રૂપિયાના સોનાના બુટિયા લૂંટી લીધા હતા. ઘટનાની જાણ થતા જ એએસપી પ્રતિભા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે, જેથી આરોપીઓને ઝડપી શકાય. ઉલ્લેખનીય છે કે, હજુ બે દિવસ પહેલા જ જોડિયા પંથકમાં એક વૃદ્ધા પાસેથી લૂંટના બનાવની ફરિયાદ નોંધાઈ હતી. શહેર અને જિલ્લામાં લૂંટ તથા ચોરીના બનાવોનો સિલસિલો યથાવત રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 8:11 pm

મોરબીમાં ભાજપની કાર્યશાળા યોજાઈ:આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત સ્વદેશી ઉપયોગ પર ભાર મુકાયો

મોરબી જિલ્લા ભાજપ દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ ભાજપના આગેવાન પંકજ શાહની હાજરીમાં યોજાયેલી આ કાર્યશાળામાં સ્વદેશી વસ્તુઓના વધુમાં વધુ ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો. આ કાર્યશાળા મોરબી શહેરના રવાપર રોડ પર આવેલ નીલકંઠ વિદ્યાલય ખાતે યોજાઈ હતી. જેમાં મુખ્ય વક્તા તરીકે કચ્છ જિલ્લાના માજી ધારાસભ્ય અને પ્રદેશના આગેવાન પંકજ શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરીયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતી રાજકોટિયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, વિવિધ મોરચાના પ્રમુખો અને શહેર ભાજપના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા. પ્રદેશમાંથી આવેલા પંકજ શાહે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સતત ભાર મૂકવામાં આવી રહેલા આત્મનિર્ભર ભારત અભિયાન વિશે વિસ્તૃત માહિતી આપી. તેમણે દેશવાસીઓને ભારતને આત્મનિર્ભર બનાવવા માટે સ્વદેશી વસ્તુઓનો વધુમાં વધુ ઉપયોગ કરવા આહવાન કર્યું. કાર્યશાળામાં ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓને 'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી'નો સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અને ઉત્પાદનમાં ભાજપ પરિવાર દ્વારા વધુમાં વધુ યોગદાન આપવા માટે સૌએ પ્રતિજ્ઞા લીધી.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 8:09 pm

અમદાવાદમાં ટોરેન્ટ ગ્રુપના UNM ફાઉન્ડેશન દ્વારા ન્યુરો-પુનર્વસન સેન્ટરનું ઉદ્ઘાટન:સમાજના વંચિત વર્ગના જરૂરિયાતમંદ દર્દીઓની ન્યૂરોલોજિકલ સમસ્યાઓ દૂર કરી સામાન્ય જીવન જીવવામાં મદદ કરશે

જરૂરિયાતમંદ લોકોનો ગુણવત્તાયુક્ત અને રાહતદરે ન્યુરો રિહેબિલિટેશનની સુલભતા સુનિશ્ચિત કરવાની દિશામાં નોધપાત્ર પગલુ ભરતાં ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા રવિવારે અમદાવાદમાં એક અત્યાધુનિક ન્યુરો પુનર્વસન સુવિધા સેન્ટર સંકલનનું અનાવરણ કરવામાં આવ્યું. 30,000 ચોરસ ફૂટમાં ફેલાયેલા આ સેન્ટરમાં મોટાભાગે સમાજના વંચિત વર્ગના જરૂરિયાતમંદ દર્દીઓને સેવાઓ પુરી પાડવામાં આવશે. ન્યુરો રિહેબિલિટેશનના ભવિષ્યને રિડિફાઈન કરવા માટે રચાયેલ, સંકલન એક અનોખા મોડેલને અનુસરે છે, જે મલ્ટીપલ થેરાપિસ, અભિગમો અને શાખાઓને સર્વાંગી સારવાર, રિકવરી અને સંભાળ માટે એક માળખામાં એકીકૃત કરે છે. ન્યુરો રિહેબિલિટેશન, એ એક વિશિષ્ટ પ્રકારની ઉપચાર પદ્ધતિ છે, જે મગજના કાર્યમાં ખામીને કારણે વ્યક્તિઓને થતી ન્યુરોલોજીકલ બીમારીઓ અને પરિણામે ઇન્ટીગ્રેટેડ અને સંકલિત, સંવેદનાત્મક અને મોટર ફંકશન્સ કરવામાં પડતી મુશ્કેલીમાંથી સ્વસ્થ થવામાં મદદ કરે છે. ન્યુરો રિહેબિલિટેશન મગજના રિલર્નિંગ અને રિવાયરિંગની પ્રક્રિયા દ્વારા આ કાર્યોને સંપૂર્ણપણે અથવા આંશિક રીતે પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે. ન્યુરોલોજીસ્ટ ડૉ. સાગર બેટાઈએ 3 દર્દીઓના કેસ સ્ટડી રજૂ કર્યા સંકલન એક એવી ઇકોસિસ્ટમ બનાવવાની ઈચ્છાશક્તિ સાથે શરૂ કરવામાં આવ્યુ છે, જ્યાં સારવાર મેળવેલ ન્યુરોલોજીકલ પડકારો ધરાવતા વ્યક્તિઓ ગતિશીલતા, સંદેશાવ્યવહાર અને જ્ઞાનાત્મક કુશળતા પુનઃ પ્રાપ્ત કરે અને ખુશી, ગૌરવ સાથે, કાર્ય પર પરત ફરવા, તેમજ સામાજિક જીવનની શક્યતાઓને પુનઃ પ્રાપ્ત કરી શકે. સંકલનના ઉદ્ઘાટન સમારોહમાં ટોરેન્ટ ગ્રુપના ચેરમેન એમેરિટસ સુધીર મહેતા અને ન્યુરોલોજી ક્ષેત્રના પ્રખ્યાત વરિષ્ઠ ડોકટરો અને નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. જાણીતા ન્યુરોલોજીસ્ટ ડૉ. સાગર બેટાઈએ 3 દર્દીઓના કેસ સ્ટડી રજૂ કર્યા અને ન્યુરો-રિહેબિલિટેશનના આશાસ્પદ પરિણામો વિશે સમજ આપી. ડૉ. વિવેક મિશ્રા દ્વારા ન્યુરો રિહેબિલિટેશનમાં થઇ રહેલી પ્રગતિ - નોન-ઇન્વેસિવ બ્રેઇન સ્ટીમ્યુલેશનની ભૂમિકા પર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. ન્યુરોલોજીકલ પુનર્વસનમાં એક નવા પ્રકરણની શરૂઆત UNM ફાઉન્ડેશનના હેલ્થકેર ઇનિશિયેટિવ્સના વડા ડૉ. ચૈતન્ય દત્તે જણાવ્યું હતું કે, સંકલન ખાતે અમારો ઉદ્દેશ્ય એવા મુદ્દાઓનું વ્યાપક મૂલ્યાંકન કરવાનો છે, કે જેને સંબોધિત કરવાની જરૂર છે, જેથી વ્યક્તિની માનસિક અને શારીરિક ક્ષમતાઓને શક્ય તેટલી વધુ અને ઘટના પહેલાની સ્થિતિમાં પુનઃસ્થાપિત કરી શકાય. આ કેન્દ્રનું નામ – સંકલન, એક સહિયારા ઉદ્દેશ્ય તરફ એકસાથે કામ કરતા વિવિધ શાખાઓના સમૂહને દર્શાવે છે. “સંકલન” એ ન્યુરોલોજીકલ પુનર્વસનમાં એક નવા પ્રકરણની શરૂઆત છે. અમે જે કરવા માંગીએ છીએ તેનો એક પાયલોટ પ્રોજેક્ટ છેટોરેન્ટ ગ્રુપના ડિરેક્ટર શ્રી જિનલ મહેતાએ જણાવ્યું હતું કે, “સંકલન” વિજ્ઞાન, કરુણા અને ટેકનોલોજીને જોડે છે અને ન્યુરોલોજીકલ પડકારો ધરાવતા વ્યક્તિઓને તેમની સ્વતંત્રતા અને ગૌરવ પાછું મેળવવામાં મદદ કરવાના પ્રયાસ કરશે. આ અદ્યતન હોલિસ્ટિક ન્યુરો રિહેબિલિટેશન સેન્ટર, ન્યુરો રિહેબિલિટેશનના ક્ષેત્રમાં અમે જે કરવા માંગીએ છીએ તેનો એક પાયલોટ પ્રોજેક્ટ છે. આગળ જતાં, આ સુવિધાને ઇન-પેશન્ટ્સ (IPD) ને પણ પુરી પાડવામાં આવશે. સમય જતાં, અમે સુરત, વડોદરા અને રાજકોટ સહિત ગુજરાતના અન્ય શહેરોમાં અને આખરે દેશના અન્ય ભાગોમાં આ મોડેલનું અનુકરણ કરવાની યોજના બનાવા ઇચ્છીએ છીએ.” ઝડપી, મહત્વાકાંક્ષી અને તણાવપૂર્ણ જીવનશૈલી સહિત વિવિધ કારણોસર સ્ટ્રોક, મગજની ઇજા, કરોડરજ્જુની ઇજા, વય-સંબંધિત ડીજનરેટિવ રોગો, વગેરેના બનાવોમાં વધારો થયો છે. જ્યારે હોસ્પિટલો જીવન બચાવવા પર ભાર મૂકીને સંભાળ પૂરી પાડે છે ત્યારે તેઓ સામાન્ય રીતે જીવનની પહેલાં જેવી ગુણવત્તા, આત્મનિર્ભરતા, પુનઃરોજગારીની શક્યતા અને દર્દીના આત્મસન્માનને પાછું લાવવા માટે સજ્જ નથી. દર્દીને ન્યુરોલોજીકલ સ્થિતિઓ સામે લડીને સામાન્ય જીવન જીવવામાં મદદ કરેસંકલનની એક અનોખી વિશેષતા એ છે કે સ્ટ્રોક, ટ્રોમેટિક બ્રેઈન ઈન્જરી અથવા કરોડરજ્જુની ઈજા જેવી ન્યુરોલોજીકલ સ્થિતિઓ પછી ક્ષતિગ્રસ્ત ક્ષમતાઓ પાછી મેળવવા માટે દરેક દર્દીની રિકવરી યાત્રા માટે દર્દી-વિશિષ્ટ સારવાર પ્રોટોકોલ. આ વ્યક્તિગત ઉપચાર યોજનાઓ, માપી શકાય તેવા ટૂંકા ગાળા અને લાંબા ગાળાના ધ્યેયો અને સમયાંતરે પ્રગતિ સમીક્ષાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઘડવામાં આવે છે. સેન્ટર ખાતેની અનોખી ઓકક્યુપેશનલ થેરાપી, દર્દીની રહેવાની પરિસ્થિતિઓનું અનુકરણ કરે છે, જેથી તેમને તેમના ઘરે ઝડપથી એડજસ્ટ કરવામાં મદદ મળે. દરેક પેશન્ટ પ્રોગ્રામ, વિચારપૂર્વક એવા ઉપચાર લક્ષ્યો સાથે ડિઝાઇન કરવામાં આવે છે, જે પુરાવા-આધારિત હોય અને દરેક દર્દીની ભાવનાત્મક, સામાજિક અને કાર્યાત્મક જરૂરિયાતો સાથે સુસંગત હોય. સંભાળ રાખનારાઓ અને પરિવારો સક્રિય સહભાગીઓ તરીકે સામેલ થાય છે, જે સારવાર કેન્દ્રની ચાર દિવાલોથી આગળ વિસ્તરેલી સંભાળ યાત્રા સુનિશ્ચિત કરે છે. અગાઉની મોટાભાગની જ્ઞાનાત્મક અને શારીરિક ક્ષમતાઓ પાછી મેળવી શકેઆ અનોખું મોડેલ ખાતરી કરે છે કે સૌથી આર્થિક રીતે હાંસિયામાં ધકેલાઈ ગયેલા દર્દીઓ પણ કોમ્પ્રોમાઇઝ વિના વિશ્વ-સ્તરીય સારવાર મેળવે. સંકલન આશા, નવીનતા અને સમાવેશકતાના દીવાદાંડી તરીકે ઊભું છે - જે UNM ફાઉન્ડેશનના લોકો અને સમાજના સુખાકારી પર ભાર મૂકવાની ફિલસૂફી સાથે સુસંગત છે. સામૂહિક રીતે, કેન્દ્ર, પુરાવા-આધારિત પુનર્વસન કાર્યક્રમો પ્રદાન કરશે, જે ક્લિનિકલ શ્રેષ્ઠતાને કરુણાપૂર્ણ સંભાળ સાથે મિશ્રિત કરે છે. દર્દીઓમાં આત્મવિશ્વાસ જગાડવાનો પ્રયાસ કરવામાં આવશે, જેથી તેઓ લગભગ સામાન્ય જીવન જીવી શકે અને અગાઉની મોટાભાગની જ્ઞાનાત્મક અને શારીરિક ક્ષમતાઓ પાછી મેળવી શકે. આ સુવિધા ન્યુરોલોજીના ક્ષેત્રમાં કેટલીક અદ્યતન તકનીકોથી સજ્જ છે જેમાં fNIRS (ફંક્શનલ નીયર-ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી), નોન-ઇન્વેસિવ બ્રેઇન સ્ટીમ્યુલેશન, એસોગ્લોવ, ઇ-હેલ્પર એક્સોસ્કેલેટન + રીટેરા, ન્યુરો ઓડિયો, માયરો, વગેરેનો સમાવેશ થાય છે. UNM ફાઉન્ડેશન અમદાવાદમાં 3.5 એકરમાં ફેલાયેલું છેનિદાન અને અભ્યાસ માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવા ઉપરાંત, સંકલન શરૂઆતમાં ન્યુરો ફિઝિશિયન, ફિઝિયાટ્રિસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ, મનોવૈજ્ઞાનિકો, સમાજશાસ્ત્રીઓ, સુવિધા આપનારાઓ, બાયો મેડિકલ એન્જિનિયરો, ડેટા સાયન્ટિસ્ટ અને સમુદાય આઉટરીચ વ્યાવસાયિકો સહિત લગભગ 63 બહુ-શાખાકીય નિષ્ણાતોની ટીમ સાથે કાર્ય કરશે. આગળ વધતા અને પ્રારંભિક શિક્ષણના આધારે, UNM ફાઉન્ડેશન અમદાવાદમાં સાયન્સ સિટી રોડ નજીક 3.5 એકરમાં ફેલાયેલું એક સંપૂર્ણ પુનર્વસન કેન્દ્ર વિકસાવવાની યોજના ધરાવે છે. યુ.એન.એમ. ફાઉન્ડેશન અંગે માહિતીઃ યુ.એન.એમ. ફાઉન્ડેશનનું નામ ટોરેન્ટ ગ્રુપના સ્થાપક યુ.એન. મહેતાના નામ પરથી રાખવામાં આવેલ છે. આ મહેતા પરિવારની એક સેવાભાવી ચેરીટેબલ સંસ્થા છે. જે કલા, સંસ્કૃતિ, સામુદાયિક સ્વાસ્થ્ય સેવા, શિક્ષણ, રોજગાર ક્ષમતામાં વધારો, પર્યાવરણ સંરક્ષણ અને શહેરી નવીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. યુ.એન.એમ. ફાઉન્ડેશનને તમામ ભંડોળ મહેતા પરિવાર અને ટોરેન્ટ ગ્રુપ ઓફ કંપનીઓ દ્વારા પૂરું પાડવામાં આવે છે. સામુદાયિક સ્વાસ્થ્ય સેવા અંતર્ગત 'રીચ' પહેલ દ્વારા 2000 થી વધુ ગામોમાં 1.8 લાખથી વધુ બાળકોની આરોગ્ય સંભાળ અને પોષણની જરૂરિયાતો પૂરી કરે છે.'શિક્ષાસેતુ' પહેલ અંતર્ગત શિક્ષણ અને જ્ઞાન સંવર્ઘન ઉપર ધ્યાન કેન્દ્રીત કરી શાળાના બાળકોની શીખવાની જરૂરિયાતો અને માળખાકીય જરૂરિયાતોને પુરી કરવામાં આવે છે, જેનો લાભ 112થી વધુ ગામોમાં 117 શાળાઓના 30,000થી વધુ વિદ્યાર્થીઓને મળી રહ્યો છે. આ ફાઉન્ડેશન અભિવ્યક્તિ - સિટી આર્ટસ પ્રોજેક્ટ અંતર્ગત કળા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભુજમાં આવૃત્તિઓ સાથેનો સિટી આર્ટસ પ્રોજેક્ટમાં વિઝ્યુઅલ આર્ટસ, નાટક, નૃત્યુ, સંગીત સાથે સંકળાયેલ ઉભરતા કલાકારોને એક મંચ પુરો પાડવામાં આવે છે તેમજ કલાના વિવિધ સ્વરૂપોને લોકો માટે નિઃશુલ્ક સુલભ બનાવવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 8:06 pm

હાલોલની લાભ ઇન્ડસ્ટ્રીમાં આગ લાગી:પનોરમા ચોકડી પાસે પ્લાસ્ટિક ફેક્ટરીમાં ત્રણ કલાકે આગ પર કાબુ, લોકોના ટોળેટોળા ઉમટ્યાં

હાલોલના પનોરમા ચોકડી પાસે આવેલી લાભ ઇન્ડસ્ટ્રીમાં આજે અગમ્ય કારણોસર આગ લાગી હતી. આ આગ પ્લાસ્ટિકના ઝભલા બનાવતી ફેક્ટરીમાં લાગી હતી. હાલોલ ફાયર બ્રિગેડની ટીમે ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાની જાણ થતાં જ હાલોલ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ઓફિસર ઉત્સવસિંહ રાઠોડના નેતૃત્વ હેઠળ ફાયર બ્રિગેડના જવાનોએ સતત પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી હતી. આ ઘટનાને પગલે આજુબાજુના વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ સંપૂર્ણપણે કાબુમાં આવી હતી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 7:54 pm

નડિયાદમાં યોજાયા વર-વધૂ વિનાનાં નકલી વેડિંગ:હલ્દી, મહેંદીની રસમ સાથે જોરદાર વરઘોડો નીકળ્યો, યુવાનો ડીજેના તાલે ઝુમી ઉઠ્યા

આજકાલ યંગસ્ટર્સમાં નકલી વેડિંગનો ખુબ ક્રેઝ જોવા મળી રહ્યો છે. થોડા મહિના પહેલા અમદાવાદમાં યોજાયેલા નકલી વેડિંગે ખુબ ચર્ચા જગાવી હતી. ત્યારે હવે મેટ્રો સિટીની સાથે સાથે નાના શહેરોમાં પણ નકલી વેડિંગનો ક્રેઝ જોવા મળ્યો છે. નડિયાદમાં પહેલીવાર 'ફેક વેડિંગ' ઇવેન્ટનું આયોજન થયું હતું. યંગસ્ટર્સમાં આ ઇવેન્ટ સુપર-ડુપર હિટ રહી હતી. ઇવેન્ટમાં 600થી વધારે લોકો ઉપસ્થિત રહ્યાનડિયાદ ખાતે યોજાયેલા 'ફેક વેડિંગ' ઈવેન્ટમાં યુવાનોએ ખુબ મોજ કરી હતી. સાંજે 6 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી ચાલેલી આ ઇવેન્ટમાં 600થી વધારે લોકોએ લગ્નની તમામ વિધિઓ, ધમાલ અને ફનનો અનુભવ કર્યો હતો. કોઈ પણ પ્રકારના બંધન વિના ફુલ મોજ કરીઆ ઇવેન્ટમાં અસલી લગ્નની જેમ જ હલ્દી, ત્યારબાદ મહેંદી, અને પછી જોરદાર બારાત સાથે વરઘોડો નીકળ્યો હતો. લોકોએ ડીજેના તાલે ધૂમ ડાન્સ કર્યો અને અસલી લગ્નને ટક્કર મારે એવી સ્વાદિષ્ટ વાનગીઓનો લુત્ફ ઉઠાવ્યો. સિંગલ હોય કે કપલ કે પછી ફેમિલી, બધા જ ટ્રેડિશનલ આઉટફિટ્સમાં સજી-ધજીને આવ્યા હતા અને કોઈ પણ પ્રકારના બંધન વિના ફુલ મોજ કરી હતી. 'નડિયાદમાં આ કોન્સેપ્ટ લાવવાનું અમારું ડ્રીમ હતું'ઇવેન્ટના ઓર્ગેનાઇઝર નિખિલ ધામેચાએ જણાવ્યું કે, અમે છેલ્લા 5 વર્ષથી ઇવેન્ટ્સ કરી રહ્યા છીએ, પણ 'ફેક વેડિંગ' જેવી ઇવેન્ટ્સ અત્યાર સુધી અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં જ થતી. નડિયાદમાં આ કોન્સેપ્ટ લાવવાનું અમારું ડ્રીમ હતું, જે આખરે સાકાર થયું છે. બીજા ઓર્ગેનાઇઝર ટીમ મેમ્બર યશવી પટેલના કહેવા પ્રમાણે છેલ્લા 1-2 મહિનાથી અમે આ ઇવેન્ટ માટે દોડધામ કરી રહ્યા હતા, અને નડિયાદમાંથી પહેલી જ વારમાં આટલો સરસ પ્રતિસાદ મળ્યો, એ અમારા માટે મોટી વાત છે. કેવી રીતે કર્યું માર્કેટિંગ?ઇવેન્ટના ઓર્ગેનાઈઝર નિખિલ ધામેચા એ જણાવ્યું હતું કે, અમે આ ફેક વેડિંગનું નામ રાખ્યું હતું 'શાદી મેં જરૂર આના'. આ નામના લીધે લોકોના ઉત્સુકતા વધી હતી કે, શેની ઇવેન્ટ છે, કોના લગ્ન હશે? જે બાદ અમે અમુક વિગતો સોશિયલ મીડિયામાં રીલ દ્વારા મૂકી હતી જેમાં અમારા વીડિયોને 1.2 મિલિયન લોકોએ જોયા હતા. એટલે કે ઇવેન્ટ જાહેર થયાના 20 દિવસમાં જ નડિયાદમાંથી અમને ઘણો સારો સિસ્પોન્સ મળ્યો હતો. 'ચરોતરમાં પ્રથમ વખત આવું કંઈક નવું આયોજન થયું'ઈવેન્ટમાં ભાગ લેનાર અક્ષય ઠક્કરે જણાવ્યું હતું કે, એટમોસ્ફિયર ખૂબ જ સરસ હતું. ચરોતરમાં આ પ્રથમ વખત આવું કંઈક નવું આયોજન થયું છે, જેમાં ભાગ લઈને ઘણી મજા આવી. આવી ઈવેન્ટ્સનું આયોજન સામાન્ય રીતે મેગા સિટીમાં થતું હોય છે, પરંતુ નડિયાદમાં તેનું આયોજન થતાં, હવે નડિયાદવાસીઓને વિકએન્ડમાં અન્ય કોઈ મેગા સિટીમાં જવાની જરૂર નહીં પડે. 'સૌએ પરિવારના લગ્ન પ્રસંગની જેમ જ ઉજવ્યો'​​​​​​પ્રિયેશ પટેલે જણાવ્યું કે, નડિયાદના યુવાઓએ જે ઉત્તમ મેનેજમેન્ટ સાથે આ નવતર આયોજન કર્યું છે, તેને આપણે ખૂબ જ સપોર્ટ કરીને તેમના કાર્યને બિરદાવવું જોઈએ. આ 'લગ્ન' હતા, પણ વર કે વધુ નહોતા, તેમ છતાં પણ તે એક અસલ લગ્ન પ્રસંગ જેવા લાગ્યા હતા અને સૌએ તેને પોતાના પરિવારના લગ્ન પ્રસંગની જેમ જ ઉજવ્યો હતો. 'આ પ્રસંગની વાઈબ્સ ખૂબ જ સરસ હતી'તેજસ્વી સોનીએ જણાવ્યું હતું કે, દુલ્હા-દુલ્હન વગરની મેં પહેલી વેડિંગ અટેન્ડ કરી છે. આ પ્રસંગની વાઈબ્સ ખૂબ જ સરસ હતી. અમે અંદર પ્રવેશ્યા કે તરત જ આ ઉત્સવના રંગે રંગાઈ ગયા હતા. દિવ્યા પંડ્યાએ પોતાના અનુભવ વિશે જણાવ્યું હતું કે, આ પ્રસંગમાં વડીલોએ પણ યુવાનોની સાથે ખૂબ જ એન્જોય કર્યું હતું અને તેઓ પણ અમારી સાથે નાચવા લાગ્યા હતા. વિકએન્ડમાં નડિયાદમાં આવી ઈવેન્ટોનું આયોજન થવું જ જોઈએ. ફેક વેડિંગ ટ્રેન્ડની શરૂઆત દુબઈથી થઈછેલ્લા 6 મહિનાથી ચાલુ થયેલા આ ટ્રેન્ડની શરૂઆત થઈ હતી સૌથી પહેલાં દુબઈમાં. ત્યાં પહેલી વાર આ ફેક વેડિંગનો કોન્સેપ્ટ શરૂ થયો અને જબ્બરજસ્ત રિસ્પોન્સ મળ્યો. તે ફેક વેડિંગમાં લોકોએ એટલી મજા અને ધૂમધામ કરી કે તેનો અવાજ છેક ભારત સુધી પહોંચ્યો. અને બસ, આપણાં જુવાનિયાઓએ આ ટ્રેન્ડને પણ ખોબલે ખોબલે વધાવી લીધો. મુંબઈ, દિલ્હી, નોઇડા, પુણે સહિત પૂરા ઈન્ડિયામાં ફેક વેડિંગ થવા માંડ્યા અને ઇન્ટરનેટ પર વીડિયોની વણઝાર થઈ. ગુજરાતમાં પણ આ હવા ઘૂસી અને સુરતમાં થયાં પહેલાં ફેક વેડિંગ. સુરત બાદ અમદાવાદમાં પણ રંગેચંગે ફેક વેડિંગની શરણાઈઓ વાગી હતી. જે બાદ હવે નાના શહેરોમાં પણ આ ઈવેન્ટ થવા લાગ્યા છે. આ પણ વાંચો-યંગસ્ટર્સનો નવો ક્રેઝ, વર-વધૂ વિનાનાં નકલી વેડિંગ

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 7:51 pm

ગાંધીનગરમાં 'વિકાસ સપ્તાહ'ની ઉજવણી:મહાનગરપાલિકા દ્વારા 5.34 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ, સિટી ઇ-વ્હીકલ રેડીનેસ પોલિસી અને ક્લીન એર એક્શન પ્લાન લોન્ચ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના શપથગ્રહણના 24 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં ચાલી રહેલા 'વિકાસ સપ્તાહ'ના ભાગરૂપે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આજે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મેયરની અધ્યક્ષતામાં યોજાયેલા મુખ્ય સમારોહમાં રૂ. 5.34 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે અન્વયે ગાંધીનગર સિટી ઇ-વ્હીકલ રેડીનેસ પોલિસી-2025 અને ક્લીન એર એક્શન પ્લાન પણ લોન્ચ કરવામાં આવ્યા હતા. મુખ્ય કચેરીથી ટાઉનહોલ સુધી વોકેથોન યોજાઈ હતીરાજ્યભરમાં ચાલી રહેલા 'વિકાસ સપ્તાહ'ના ભાગરૂપે, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આજે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહાનગરપાલિકાની મુખ્ય કચેરીથી ટાઉનહોલ સુધી વોકેથોન યોજાઈ હતી.જેમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગાંધીનગરને વધુ સુંદર અને પર્યાવરણલક્ષી બનાવવાની પહેલ પર વિશેષ ભાર મૂકાયોઆ વોકેથોન બાદ ટાઉનહોલ ખાતે મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને ચેક અને આવાસ યોજનાની ચાવીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગાંધીનગર સિટી ઇ-વ્હીકલ રેડીનેસ પોલિસી-2025 અને ક્લીન એર એક્શન પ્લાન પણ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ વિકાસ સપ્તાહ દરમિયાન ગાંધીનગરને વધુ સુંદર અને પર્યાવરણ લક્ષી બનાવવાની પહેલ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. કલાકારો દ્વારા વૉલ પેઇન્ટિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતીજે અંતગર્ત સેક્ટર-1 લેક ગાર્ડન ખાતે 'વેસ્ટ ટુ બેસ્ટ' કન્સેપ્ટ પર આધારિત એક આકર્ષક સ્કલ્પચરનું અનાવરણ કરવામાં આવ્યું હતું . શહેરી સૌંદર્યના ભાગરૂપે PDPU રોડ, બોરીજ, સેક્ટર-21 અને સેક્ટર-19 સહિતના સ્થળો પર કલાકારો દ્વારા વૉલ પેઇન્ટિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી, જેનાથી શહેરના વિવિધ વિસ્તારોને કલાત્મક ઓપ મળ્યો છે. આ સિવાય મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા કટિબદ્ધ રહેતા સફાઈ મિત્રો માટે સેક્ટર-30 ખાતે હેલ્થ કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમને PPE કિટનું વિતરણ પણ કરવામાં આવ્યું અને એક વિશેષ સફાઈ ડ્રાઇવ પણ યોજવામાં આવી હતી. ઉપરાંત આજે સાંજે કુડાસણ ખાતે 'RRR' (Reduce, Reuse, Recycle) કલેક્શન ડ્રાઇવ અને ડેમોન્સ્ટ્રેશન યોજાયું હતું.જે નાગરિકોને કચરાના યોગ્ય નિકાલ અંગે જાગૃત કરશે. જ્યારે રાત્રે પેથાપુર અને સેક્ટર-25ની વિવેકાનંદ વસાહત ખાતે રાત્રિ સફાઈ અભિયાન હાથ ધરાશે, તેમજ સેક્ટર-24 શાક માર્કેટ ખાતે સ્વચ્છતા સંબંધિત IEC (માહિતી, શિક્ષણ અને સંચાર) પ્રવૃત્તિઓ યોજવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 7:46 pm

ક્રેડિટ કાર્ડ લિમિટ વધારવાના બહાને ડોક્ટર સાથે ઠગાઈ:વોટ્સએપ કોલ પર OTP આવ્યો ને 1.25 લાખ સ્વિગીમાં ટ્રાન્સફર થઈ ગયા

ગાંધીનગરના કુડાસણમાં રહેતા ડોકટર સાથે ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાના બહાને 1.25 લાખની ઓનલાઈન ઠગાઈ થઈ છે. એચડીએફસી બેંકમાંથી બોલતી હોવાનું જણાવી અજાણી મહિલાએ વોટ્સએપ કોલ દ્વારા ક્રેડિટ કાર્ડ વિશેની વાતચીત ચાલુ રાખી વિશ્વાસ કેળવ્યો હતો. આ દરમિયાન અચાનક ઓટીપી આવ્યોને ડોક્ટરના ક્રેડિટ કાર્ડમાંથી 1.25 લાખનું ટ્રાન્ઝેક્શન સ્વીગી ફૂડમાં થઈ ગયું હતું. આ અંગે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અજાણી મહિલાનો વ્હોટસપ વીડિયો કોલ આવ્યો ગાંધીનગરના કુડાસણ શ્રીફલ હાઇટસમાં રહેતા મૂળ વેરાવળ વતની ડો . કેયુર ખિમદાસભાઇ નીમાવતઆટકોટ ખાતે માતૃશ્રી પ્રભાબેન ખોડાભાઇ બોઘરા મેડિકલ કોલેજ ખાતે પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. ગત તા.23 મે 2025ના રોજ તેમના મોબાઇલ પર કોઇ અજાણી મહિલાએ વ્હોટસપ કોલ કરી પોતે એચ.ડી. એફ.સી. બેંકના ક્રેડિટ કાર્ડ વિભાગમાંથી વાત કરતી હોવાનુ જણાવ્યું હતું. બાદમાં મહિલાએ એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડની લિમીટ વધારી આપવાની ઓફર કરતા ડો. કેયુરે તૈયારી દર્શાવી હતી. બાદમાં તેમને અજાણી મહિલાનો વ્હોટસપ વિડિયો કોલ આવ્યો હતો. જોકે તેમા ફક્ત એચડીએફસી બેંકના લોગો સિવાય કોઇનો ચહેરો દેખાતો ન હતો. ક્રેડિટ કાર્ડમાંથી રૂ.1.25 લાખની રકમ સ્વિગી ફુડમાં ટ્રાન્ઝેક્શન થયાનું માલૂમ પડ્યુંજોકે, કોલ કરનાર મહિલાએ ક્રેડિટ લીમીટ વધારવા અંગે ચર્ચાઓ કરવાનુ ચાલુ કરી ડોકટરને વિશ્વાસમાં લીધા હતા. આ દરમિયાન તેમને એક ઓ.ટી.પી. આવ્યો ને તુરંત ક્રેડિટ કાર્ડમાંથી રૂ.1.25નું ટ્રાન્ઝેક્શન થયાં નો મેસેજ તેમજ ઇ-મેઇલ આવ્યો હતો. જેની થોડી મિનિટોમાં અન્ય એક ઓ.ટી.પી. આવતા ડૉક્ટરને શંકા ગઈ હતી.અને તેમણે વિડિયો કોલ કટ કરી દીધો હતો. બાદમાં તેમણે ચેક કરતા ક્રેડિટ કાર્ડમાંથી રૂ.1.25 લાખની રકમ સ્વિગી ફુડમાં ટ્રાન્ઝેક્શન થયાનું માલૂમ પડ્યું હતું. આમ પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થતા ડોકટરે સાયબર હેલ્પલાઇન ઉપર ફરિયાદ નોંધાવી હતી.જે અન્વયે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોધી વધુ તપાસ હથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 7:44 pm

ડમ્પર સાથે અથડાયા બાદ આગ લાગતા એક્ટિવાચાલક ભડથું, VIDEO:પેટ્રોલની ટાંકી લીક થયા બાદ આગ ફાટી નીકળ્યાનું અનુમાન, અમદાવાદના SP રિંગ રોડની ઘટના

અમદાવાદના SP રિંગ રોડ પર સરદાર ધામ નજીક સર્જાયેલા એક વિચિત્ર અકસ્માતમાં એક્ટિવાચાલકનું મોત નિપજ્યું છે. રિંગ રોડ પરથી પસાર થઈ રહેલા ડમ્પર અને એક્ટિવા વચ્ચે ટક્કર થયા બાદ એક્ટિવાની પેટ્રોલની ટાંકી લીંક થતા અને સ્પાર્ક થતા આગ ફાટી નીકળી હતી. ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા એક્ટિવા અને ડમ્પર આગની ચપેટમાં આવી ગયા હતા. આગ એટલી વિકરાળ હતી કે એક્ટિવાચાલક ઘટનાસ્થળે જ ભડથું થઈ ગયો હતો. ફાયરબ્રિગેડે પાણીનો મારી ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. કઈ રીતે સર્જાયો વિચિત્ર અકસ્માત?ફાયર બ્રિગેડના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આજે સાંજના સમયે સરદાર પટેલ રિંગરોડ ઉપર સરદાર ધામની સામે ગ્રીનવુડ રિસોર્ટ તરફ જવાના રોડ પાસે રેતી ભરેલું એક ડમ્પર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક્ટિવા ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવી રહેલા ડમ્પરની બ્રેક ન વાગતા એક્ટિવાને ટક્કર વાગી હતી. એક્ટિવા ટ્રકના પાછળના ટાયર સાથે ઘસડાતા સ્પાર્ક થતાં પેટ્રોલની ટાંકી લીક થતાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ડમ્પરની જમણી તરફ નીચેના ભાગે પાણીનો મારો ચલાવી અને આગને કાબુમાં લેવામાં આવી હતી. એક્ટિવાચાલક ઘટનાસ્થળે જ ભડથું થઈ ગયોઆગ બુજાવ્યા બાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ડમ્પરની નીચે જોતા એક્ટિવા ડમ્પર નીચે આવી જતા ચાલક આગમાં બળીને ભડથું થઇ ગયો હતો. એક્ટિવા ચાલક આગમાં ભડથું થઈ જતાં ફાયર બ્રિગેડ દ્વારા 108 ને પણ જાણ કરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. એક્ટિવા ચાલકના દેહને પોસ્ટમોટમ અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો છે તેમજ આ સમગ્ર મામલે મૃતક એક્ટિવા ચાલકની ઓળખ કરવા અંગેની તપાસ હાથ ધરી છે. ડમ્પર ચાલકની ટ્રાફિક પોલીસે પૂછપરછ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 7:42 pm

આમ આદમી પાર્ટીના નેતાઓની અટકાયત:બોટાદ કિસાન મહાપંચાયતમાં જતા પ્રભાસ પાટણ પોલીસે રોક્યા

બોટાદ ખાતે યોજાનારી કિસાન મહાપંચાયતમાં ભાગ લેવા જઈ રહેલા આમ આદમી પાર્ટી (AAP) ના કાર્યકરોને પ્રભાસ પાટણ પોલીસે અટકાવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જૂનાગઢ હાઇવે પર શાંતિપરા પાટિયા નજીક AAP નેતાઓને રોકવામાં આવ્યા હતા અને તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. અટકાયતમાં લેવાયેલા કાર્યકરોમાં સોમનાથ વિધાનસભાના જિલ્લા ઉપપ્રમુખ ઇકબાલ સુમરા, તાલુકા પ્રમુખ જગદીશ યાદવ, પ્રદેશ યુવા ઉપપ્રમુખ પ્રેમ ગઢીયા અને શહેર પ્રમુખ રાજુ બારીયાનો સમાવેશ થાય છે. પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવતા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસ દ્વારા આ કાર્યવાહી કાયદો અને વ્યવસ્થા જાળવવાના તકેદારીના પગલાં તરીકે કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 7:37 pm

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ:અમદાવાદમાં 10મો સ્ટીલ બ્રિજ લોન્ચ, બુલેટ ટ્રેન અહીંથી 31 ક્રોસિંગ્સમાંથી પસાર થશે

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ગુજરાતના અમદાવાદ જિલ્લામાં પ્રોજેક્ટનો 10મો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે અમદાવાદ જિલ્લામાં લોન્ચ કરાયેલો આ પહેલો સ્ટીલ બ્રિજ છે. આ 60 મીટર લાંબો બ્રિજ પશ્ચિમ રેલ્વેની સુવિધા નજીક રેલવે ટ્રેક પર બાંધવામાં આવ્યો છે. ઝીણવટભર્યું આયોજન અને ચોકસાઈ સાથે લોન્ચિંગઆ બ્રિજનું લોકાર્પણ મહિનાઓના ઝીણવટભર્યા આયોજન બાદ માત્ર 7 કલાકમાં ચોકસાઈ સાથે પૂર્ણ થયું. આ બ્રિજને જમીનથી 16.5 મીટર ઊંચાઈ પર અસ્થાયી ટ્રેસલ પર એસેમ્બલ કરવામાં આવ્યો અને બે 200-ટન ક્ષમતાવાળા સેમી-ઓટોમેટિક જેકની મદદથી સ્ટેબિલિટી માટે લૉકિંગ ટ્રૉલીનો ઉપયોગ કરીને સાઇડ-સ્લ્યૂ કરાયો. બ્રિજનું નિર્માણ અને પરિવહન485 મેટ્રિક ટન વજનનો આ બ્રિજ 12 મીટર ઊંચો અને 11.4 મીટર પહોળો છે. તેનું ફેબ્રિકેશન મહારાષ્ટ્રના વર્ધા ખાતે વિશેષ વર્કશોપમાં કરવામાં આવ્યું હતું અને ખાસ ડિઝાઇન કરેલા ટ્રેલર દ્વારા અમદાવાદ લાવવામાં આવ્યો. બ્રિજના નિર્માણમાં 20,360 ટોર-શિયર પ્રકારના હાઇ સ્ટ્રેન્થ (ટિટીએચએસ) બોલ્ટ્સનો ઉપયોગ થયો છે, જે સી5 સિસ્ટમ પ્રોટેક્ટિવ પેઇન્ટિંગથી કોટેડ છે. ઉપરાંત, વધુ ટકાઉપણું અને વાયરિએશન નિયંત્રણ માટે એલાસ્ટોમેરિક બેરિંગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અસ્થાયી પ્લેટફોર્મ અને સ્કિડ વ્યવસ્થાબ્રિજના મુખ્ય સ્ટ્રક્ચરને એસેમ્બલ કરવા માટે 35x60 મીટરનું અસ્થાયી પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું. ટ્રાન્સવર્સ મૂવમેન્ટ દરમિયાન ટ્રેક બીમને મજબૂત કરવા વધારાના અસ્થાયી બ્રેકેટ્સ ઇન્સ્ટોલ કરાયા. કુલ 14 સ્કિડ વ્યવસ્થાઓનો ઉપયોગ થયો, જેમાંથી ચાર ખાસ ટ્રાન્સવર્સ લોન્ચિંગ માટે હતા. મુંબઈ-અમદાવાદ કોરિડોરની વિશેષતાઓમુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન વિઆડક્ટ અમદાવાદમાં 31 ક્રોસિંગ્સમાંથી પસાર થશે, જેમાં રેલ્વે ટ્રેક્સ, ફ્લાયઓવર્સ, નહેરો, સાબરમતી નદી પર એક રિવર બ્રિજ અને છ સ્ટીલ બ્રિજનો સમાવેશ થાય છે. સમગ્ર કોરિડોર માટે કુલ 28 સ્ટીલ બ્રિજ બનાવવાની યોજના છે, જેમાંથી 17 ગુજરાતમાં અને 11 મહારાષ્ટ્રમાં આવેલા છે. પ્રોજેક્ટનું મહત્વઆ સ્ટીલ બ્રિજનું લોન્ચિંગ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિનું પ્રતીક છે. આ પ્રોજેક્ટ ભારતના રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક નવો યુગ લાવશે, જે મુંબઈ અને અમદાવાદ વચ્ચેની મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટાડશે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 7:07 pm

મોડાસા પાસે SMCએ 5 લાખનો દારૂ ભરેલી કાર ઝડપી:ગડાદર રેલવે ક્રોસિંગ નજીકથી 1378 બોટલ દારૂ મળ્યો, સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ

અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક ગડાદર રેલવે ક્રોસિંગ પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે રૂ. 5 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. એક કારમાંથી 1378 નંગ દારૂની બોટલો મળી આવી હતી, અને પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, SMCની ટીમ અરવલ્લી જિલ્લામાં વાહન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન મોડાસાના ગડાદર રેલવે ક્રોસિંગ પાસે એક શંકાસ્પદ કારને રોકવામાં આવી હતી. કારની તલાશી લેતા તેમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ ઘટનાથી સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે. ગુજરાત-રાજસ્થાન સરહદ શામળાજીના અણસોલ પાસે આવેલી છે, જ્યાં રાઉન્ડ ધ ક્લોક પોલીસ ચેકિંગ હોય છે. આવા કડક બંદોબસ્ત વચ્ચે બુટલેગર શામળાજી અને ટીંટોઈ જેવા બે પોલીસ સ્ટેશન વટાવીને ગડાદર સુધી દારૂ ભરેલી કાર સાથે કેવી રીતે પહોંચ્યો તે તપાસનો વિષય બન્યો છે. દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે બુટલેગરો દ્વારા રાજ્યમાં નશીલા પદાર્થો ઘુસાડવાના પ્રયાસો વધી રહ્યા છે. જોકે, સ્ટેટ મોનિટરિંગ સેલની સક્રિયતાને કારણે આવા પ્રયાસો નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 6:57 pm

વડનગરની તોરણ હોટેલમાં દુર્લભ વૃક્ષોનો ઉછેર:પર્યાવરણ બચાવો અભિયાનની શરૂઆત કરી, દુનિયાના 160થી વધુ દેશોમાંથી ધ્યાન કરવા માટે લોકો આવે છે

આજે કાર્બન ઉત્સર્જિત ઉપકરણના વધુ પડતા વપરાશના કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધ્યું છે. જેથી સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગ સામે ઝઝૂમી રહ્યું છે. આ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને નાથવા માટે અને પ્રકૃતિને બચાવવા માટે વધુ વૃક્ષોનું વાવેતર કરવું એ એકમાત્ર ઉપાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પર્યાવરણીય દ્રષ્ટિકોણને અગ્રતા આપી 'એક પેડ માઁ કે નામ' અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાનના પરિણામે આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં વૃક્ષોના વાવેતર અને ઉછેરમાં દિન- પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. વાત આજે એક એવી સંસ્થાની કરવી છે જે વૃક્ષોનો ઉછેર કરીને પર્યાવરણ અને પ્રકૃતિ બચાવવાના મહા અભિયાનમાં નોંધનીય કામ કરી રહી છે. તેલંગાણા રાજ્યના કાન્હા શાંતિવનમ ખાતે આવેલ હાર્ટફુલનેસ ઇન્સ્ટિટયૂટની વાત છે. આઇન્સ્ટિટયૂટ મહેસાણા જિલ્લાના વડનગર ખાતે તોરણ હોટલ, લટેરી વાવ, અંબાજી કોઠા તળાવ અને વિષ્ણુપુરી તળાવ જેવા સ્થળોએ વૃક્ષો વાવીને તેનો ઉછેર કરી રહી છે. વડનગરમાં પર્યાવરણ બચાવો અભિયાનની શરૂઆત કરીઆ અંગે વાત કરતા હાર્ટફુલનેસ ઇન્સ્ટિટયૂટના ફોરેસ્ટ બાય હાર્ટફુલનેસ પ્રકલ્પના ડિરેક્ટર અને નિવૃત્ત વન અધિકારી વી. રમાકાંતા જણાવે છે કે, ગુજરાત સરકારના પ્રવાસન નિગમ હસ્તકની તોરણ હોટલ, વડનગર ખાતે વર્ષ 2022માં હાર્ટફુલનેસ ઇન્સ્ટિટયૂટને વૃક્ષો ઉછેર કરવા માટે જમીન આપવામાં આવી હતી. હાર્ટફુલનેસ ઇન્સ્ટિટયૂટ કાન્હા શાંતિવનમ, તેલંગાણા ખાતે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકવાર કાન્હા શાંતિવનમની મુલાકાત લીધી હતી. ત્યાં હરિયાળો પ્રદેશ જોઈ તેમણે હાર્ટફુલનેસ ઇન્સ્ટિટયૂટના વૈશ્વિક માર્ગદર્શક કમલેશ ડી.પટેલ (દાજી)ને ગુજરાત સહિત દેશના વિવિધ પ્રદેશોમાં વૃક્ષો વાવીને તેનો ઉછેર કરવા આહવાન કર્યું હતું. તેના લીધે સંસ્થાએ વડનગરમાં વૃક્ષો ઉછેર કરવા માટે જમીન મળી અને પર્યાવરણ બચાવો અભિયાનની શરૂઆત કરી. વધુમાં તેઓ કહે છે કે, વડનગરમાં તોરણ હોટલ, વિષ્ણુપુરી તળાવ, લટેરી વાવ અને અંબાજી કોઠાવાવ ખાતે હાર્ટફૂલનેસ ઇન્સ્ટિટ્યૂટ વૃક્ષો વાવીને તેનું જતન કરી રહ્યું છે. વડનગરના આ સ્થળો ખાતે ભારત દેશના અલગ-અલગ પ્રદેશમાં થતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વૃક્ષોની વિશેષતા એ છે તે સુગંધિત ફૂલો અને ફળો આપી રહ્યા છે અને આ વૃક્ષોમાં કિંમતી ઔષધીય ગુણો પણ જોવા મળી રહ્યા છે. દુનિયાના 160થી વધુ દેશોમાંથી ધ્યાન કરવા માટે લોકો આવે છેહાર્ટફુલનેસ ઇન્સ્ટિટયૂટ વિશે વાત કરતા તેઓ કહે છે કે, હાર્ટફુલનેસ ઇન્સ્ટિટયૂટ તેલંગાણામાં 1400 એકરમાં કાન્હા શાંતિવનમ નામે એનું વૈશ્વિક હેડ ક્વાર્ટર કાર્યરત છે. જેમાં એક ધ્યાન કેન્દ્ર છે. આ ધ્યાન કેન્દ્રમાં દુનિયાના 160થી વધુ દેશોમાંથી ધ્યાન કરવા માટે લોકો આવે છે. આધ્યાત્મિક જીવન અને ભૌતિક જીવનની સમતુલા જાળવવા માટે પ્રકૃતિ એટલે કે વૃક્ષો આચ્છાદિત હરિયાળીની ખૂબ જ જરૂરિયાત રહે છે કારણ કે પ્રકૃતિ તમારા મનને વધુ પ્રફુલ્લિત બનાવે છે. વૃક્ષ ઉછેરની પદ્ધતિ અંગે વાત કરતા વી. રમાકાંતા કહે છે કે, અમે માત્ર વૃક્ષો વાવતા નથી, પરંતુ વૃક્ષનો સંપૂર્ણ ઉછેર ન થાય ત્યાં સુધી તેનું પાલનપોષણ કરીએ છીએ. અમે જીવામૃત સાથે નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને વૃક્ષનો ગ્રોથ કઈ રીતે ઝડપથી વધારી શકાય તે માટે સતત મહેનત કરીએ છીએ. ડ્રિપ ઈરીગેશન અને રેઇનગનના માધ્યમથી વૃક્ષોને પાણી આપી તેનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. પ્રવાસીઓને ફુદીનાની ચા, ગ્રીન ટી પીવા મળે છેઆ અંગે વાત કરતા તોરણ હોટલના મેનેજર હરીશ બારડ જણાવે છે કે અમારી તોરણ હોટલમાં હાર્ટફુલનેસ ઇન્સ્ટિટયૂટ દ્વારા દેશભરની વિવિધ જાતના વૃક્ષોનું વાવેતર કર્યું છે. એમના દ્વારા રૂદ્રાક્ષ, મહાગની અને ગોલ્ડન બાંભુ જેવા અનેક દુર્લભ વૃક્ષોનો ઉછેર કર્યો છે. જેથી અનેક પક્ષીઓ તોરણ હોટલમાં આવે છે અને સવાર-સાંજ પક્ષીઓનો કલરવ સાંભળવા મળે છે. અમારા ત્યાં ગ્રીન ટી, ફુદીનાનું પણ વાવેતર કર્યું છે. જેથી પ્રવાસીઓને ફુદીનાની ચા, ગ્રીન ટી પીવા મળે છે. વધુમાં તેઓ કહે છે કે શરૂઆતમાં તેઓ અમારે ત્યાં વર્ષ 2021માં આવ્યા ત્યારે એટલી બધી ઉધઈ હતી કે કોઈપણ છોડનું અમે વાવેતર કરીએ તો ઉધઈના કારણે છોડ મરી જતો હતો પરંતુ, તેમણે જમીનમાં નિમ અને કોલસા નાખીને વૃક્ષોનું વાવેતર કરી જતન કર્યું. જેથી આજે તોરણ હોટલમાં હરિયાળી જ હરિયાળી થઈ ગઈ છે. ઉપરાંત તેમણે સરગવો, રીંગણ, મરચા, ગવાર, ભીંડો જેવા શાકભાજી પણ વાવીને આપ્યા છે અને આ જાતે ઉગાડેલા શાકભાજીઓનો સ્વાદ પ્રવાસીઓ પણ લઈ રહ્યા છે. જેના કારણે અમારી તોરણ હોટલમાં આવતા પ્રવાસીઓ અધિકારીઓને પણ હરિયાળી જોઈ ખૂબ જ આનંદિત થઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 6:40 pm

ફટાકડાનાં વેપારીઓની મુશ્કેલી વધી:500 મીટરથી ઓછી જગ્યા માટે એનઓસીની જગ્યાએ ફાયર બ્રિગેડનો અભિપ્રાય લેવો ફરજીયાત, રાજકોટમાં સોમવારથી કામગીરી શરૂ કરાશે

ગુજરાત સરકાર દ્વારા અગાઉ રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં આ વર્ષે 500 મીટરથી નાની જગ્યામાં ફટાકડા માટે ફાયર એન.ઓ.સી.નહીં લેવું પડે, માત્ર અગ્નિશમન સાધનો રાખવાના રહેશે તેવો નિયમ જાહેર કરાયો હતો. જોકે વેપારીઓ રાહતનો શ્વાસ લે તે પહેલા એનઓસી કરતા વધુ માથાકૂટ થાય તેવી લાંબી પ્રક્રિયા હવે સાથે ફટાકડા વેચવાની મંજુરી ફરજીયાત બનાવાતા હાલમાં વેપારીઓની મુશ્કેલીઓની સાથે સાથે ફાયર વિભાગની કામગીરીમાં વધારો થયો છે. રાજકોટમાં સોમવારથી આ કામગીરી શરૂ કરવામાં આવનાર છે. પ્રાપ્ત વિગત મુજબ હાલ દિવાળી નજીક હોય ફટાકડા વેચવાનું અને છૂટાછવાયા ફૂટવાનું પણ શરુ થઈ ગયું છે. ત્યારે સરકાર દ્વારા મંજુરી ફરજીયાત બનાવાતા અને તે તાત્કાલિક મળી શકે તેમ નહીં હોવાથી અનેક વેપારીમાં રોષની લાગણી જોવા મળી રહી છે. હવે ફાયર વિભાગ દ્વારા વેપારીઓના દસ્તાવેજો, ફાયરસેફ્ટીના સાધનો, બિલો વગેરે ચકાસીને અભિપ્રાય આપવામાં આવશે. આ માટેની કોઈ ઓનલાઈન સુવિધાઓ ઉભી નહીં કરાતા ફાયર વિભાગમાં દોડધામ સર્જાશે. ફાયર વિભાગના આ અભિપ્રાયનાં આધારે પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવશે. આ અંગે ચીફ ફાયર ઓફિસર અમિત દવેએ જણાવ્યું હતું કે, અમારે ફાયર એનઓસી આપવાનું નથી પરંતુ, નિયમોનુસાર ફાયર સેફ્ટીના સાધનો ફટાકડા વેચાણ સ્થળે છે કે કેમ, તેના બિલો, વગેરે બાબતો ચકાસીને અભિપ્રાય આપવાનો છે. જેની કાર્યવાહી સોમવારથી શરુ કરીશું. આ અભિપ્રાય પોલીસ સમક્ષ રજૂકર્યા બાદ પોલીસ દ્વારા મંજુરી આપવામાં આવશે.રાજકોટમાં ગત વર્ષે 392 વેપારીને ફટાકડા વેચવાનું ફાયર એન.ઓ.સી. આપવામાં આવ્યું હતું. આ વર્ષે વેપારીઓની સંખ્યા આશરે 500થી વધારે હોવાનો અંદાજ છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં ગત વર્ષે ફટાકડાથી 135 સ્થળોએ આગ ભભુકી ઉઠી હતી. દર વર્ષે સરેરાશ 125 જેટલા કેસો દિવાળીમાં નોંધાય છે જેના કારણે ફાયર વિભાગની ટીમો ધનતેરસથી બેસતા વર્ષની સવાર સુધી સ્ટેન્ડ ટુ રહેતી હોય છે. ત્યારે સરકાર દ્વારા ફાયર સાધનોની ચકાસણી કરી અભિપ્રાય આપવાની વધારાની કામગીરી સોંપવામાં આવતા ફાયરના જવાનોને વધારે દોડધામ કરવી પડશે. બીજીતરફ દિવાળીને એક સપ્તાહ કરતા ઓછો સમય છે ત્યારે વેપારીઓએ ધંધો કરવાને બદલે પહેલા ફાયર વિભાગના અભિપ્રાય માટે બાદમાં પોલીસ મંજૂરી માટે દોડધામ કરવી પડશે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 6:13 pm

RSS વડા ગુજરાતની મુલાકાતે:સર સંઘચાલક મોહન ભાગવત 14 અને 15 ઓક્ટોબર અમદાવાદ અને ગાંધીનગરમાં, મુખ્યમંત્રી અને નવનિયુક્ત પ્રદેશ પ્રમુખને મળી શકે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક મોહન ભાગવત આગામી 14 અને 15 ઓક્ટોબર એમ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવવાના છે. બે દિવસ ગુજરાતની મુલાકાતમાં અમદાવાદ ખાતે આવેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. ગાંધીનગરના કોબા ખાતે આવેલા પ્રેક્ષા વિશ્વ ભારતી ધ્યાન કેન્દ્ર ખાતે આચાર્ય મહાશ્રમણજી સાથે પણ મુલાકાત કરશે. કોબા ખાતે જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક અને દિવાળી પહેલા સરસંઘચાલક મોહન ભાગવતની ગુજરાત મુલાકાત ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે. આચાર્ય મહા શ્રવણજી સાથે મુલાકાત કરી અને પ્રવચન આપશેરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસ સંઘચાલકની બે દિવસ ગુજરાત મુલાકાતમાં 14 ઓક્ટોબરે બપોરે તેઓ અમદાવાદ આવી પહોંચશે. એરપોર્ટથી સીધા તેઓ અમદાવાદના સંઘ કાર્યાલય ડો. હેડગેવાર ભવન ખાતે પહોંચશે. જ્યાં બપોરે સંઘના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. બીજા દિવસે સવારે સાડા નવ વાગ્યે ગાંધીનગરના કોબા ખાતે આવેલા પ્રેક્ષા વિશ્વભારતી ધ્યાન કેન્દ્ર ખાતે જશે. આચાર્ય મહા શ્રવણજી સાથે મુલાકાત કરી અને પ્રવચન આપશે. બાદમાં બપોરે અમદાવાદ સંઘ કાર્યાલય ખાતે પરત ફરશે. બપોરે સંઘ કાર્યાલય ખાતે તેઓ ફરી સંઘના ઉચ્ચ હોદેદારો અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. બે દિવસ મોહન ભાગવત ગુજરાતમાં છે તાજેતરમાં જ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની નિમણૂક કરવામાં આવી છે. ભાજપમાં આગામી દિવસોમાં ખૂબ મોટા ફેરફાર થઈ શકે છે ત્યારે દિવાળી પહેલા ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક આવી રહ્યા છે અને બે દિવસ સતત બેઠકોનો દોર કરવાના છે ત્યારે ખૂબ ગુજરાતના રાજકારણમાં સંઘનું યોગદાન સૂચક માનવામાં આવી રહ્યું છે. બે દિવસ મોહન ભાગવત ગુજરાતમાં છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પણ મોહન ભાગવતની મુલાકાત કરે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 6:13 pm

APK ફાઈલ ખોલતા પહેલા સાવધાન:PM આવાસ યોજના નામની ફાઈલ ઈન્સ્ટોલ કરી તો યુવકના ક્રેડિટ કાર્ડમાંથી 31 હજાર ડેબિટ થઈ ગયા!

અમદાવાદના સરસપુરમાં યુવકને વોટ્સએપ અજાણ્યા નંબર પરથી PM આવાસ યોજનાના નામે APK ફાઇલ આવી હતી જે ખોલીને યુવકે ઇન્સ્ટોલ કરી વિગત ભરતા થોડીવારમાં જ યુવકના ક્રેડિટ કાર્ડમાંથી ફ્લિપકાર્ટમાંથી ખરીદી થઈ હોવાના મેસેજ આવ્યા હતા.યુવકના ક્રેડિટ કાર્ડમાંથી 31,335 રૂપિયાની ખરીદી થઈ હતી જે અંગે યુવકે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. સોશિયલ મીડિયામાં આવતી અજાણી ફાઈલ ડાઉનલોડ કરવી જોખમીસરસપુરમાં રહેતો હેમિન પટેલ નામનો યુવક ફાઇનાન્સનું કામ કરે છે. 31 ઓગસ્ટે હેમીનના વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામની એપીકે એપ્લિકેશન ફાઈલ આવી હતી.જે ફાઈલ ઓપન કરીને હેમીને ફાઈલ ઇન્સ્ટોલ કરી હતી.ઇન્સ્ટોલ માટે પરમિશનનો ઓપ્શન આવતા હેમીને પરમિશન પણ આપી હતી.જે બાદ પ્રધાનમંત્રી આવાસ યોજના અંગેનું ઓનલાઈન ફોર્મ ખુલ્યું હતું જે ફોર્મ ભરવાનો પ્રયત્ન કરવા છતાં ફોર્મ ભરાયું નહોતું.જેથી હેમીન એપ્લિકેશનમાંથી બહાર નીકળી ગયો હતો.ત્યારબાદ બપોરના સમયે ફ્લિપકાર્ટમાંથી ઓનલાઈન ખરીદી કર્યા હોવાનો પેમેન્ટના ત્રણ ઓટીપી મેસેજ આવ્યા હતા. હેમિનના બેંકના ક્રેડિટ કાર્ડમાંથી 31,335 રૂપિયા ડેબિટ થયા અંગેનો પણ મેસેજ આવ્યો હતો.જો કે હેમીને કોઈ ટ્રાન્ઝેક્શન કર્યા નહોતા તેથી તપાસ કરાવી ત્યારે તેના ક્રેડિટ કાર્ડમાંથી રહાન નામના વ્યક્તિએ મોટરોલા કંપનીના મોબાઈલ ખરીદ્યા હોવાનું જાણવા મળ્યું હતું. હેમીને આ અંગે સાઇબર ક્રાઇમ હેલ્પલાઇનની મદદ મેળવી હતી.જે બાદ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 6:09 pm

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની બેઠક મળી:ગુજરાત-કેન્દ્ર સરકારના મૌન સામે આક્રોશ ઠાલવ્યો, ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કહ્યું- રસ્તાઓ પર ઉતરીને ઉગ્ર આંદોલન કરીશું

સુપ્રીમ કોર્ટના દલિત ચીફ જસ્ટિસ બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાના પ્રયાસની ઘટના અને દેશભરમાં દલિતો પર વધી રહેલા અત્યાચારના મુદ્દે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે ગુજરાત અને કેન્દ્ર સરકાર સામે તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે. આજે ગાંધીનગર ખાતે સરકારના દલિત વિરોધી વલણ સામે મોટો મોરચો તૈયાર કરવા માટે આયોજનની બેઠક મળી હતી. જેમાં વડનગરના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આગામી દિવસોમાં ગુજરાતના દલિતો જૂના આંદોલનની જેમ જ આક્રમક મોડમાં રસ્તાઓ પર ઉતરીને ઉગ્ર આંદોલન કરશે તેવો હુંકાર કર્યો હતો. મંચે આ ઘટનાને CJI દલિત હોવાના કારણે થયેલો હુમલો ગણાવ્યોસુપ્રીમ કોર્ટના દલિત ચીફ જસ્ટિસ બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાના પ્રયાસની ઘટના અને દેશભરમાં દલિતો પર વધી રહેલા અત્યાચારના મુદ્દે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે સરકારના દલિત વિરોધી વલણ સામે લાલઘૂમ થઈ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે ત્રણ મુખ્ય રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની ઘટનાઓને ટાંકીને સરકારની નીતિ પર આકરા પ્રહાર કર્યા છે. સુપ્રીમ કોર્ટના દલિત ચીફ જસ્ટિસ બી.આર. ગવઈ પર સંઘ પરિવારની વિચારધારા સાથે જોડાયેલા એક વકીલે કથિત રીતે જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. મંચે આ ઘટનાને CJI દલિત હોવાના કારણે થયેલો હુમલો ગણાવ્યો છે, જેના તીવ્ર પ્રત્યાઘાતો દેશભરમાં પડ્યા છે. આઠ પાનાની સુસાઈડ નોટ લખીને આત્મહત્યા કરીકેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ પણ આ ઘટનાને વખોડી કાઢી છે અને આરોપી વિરુદ્ધ એસ.સી/એસ.ટી. એક્ટ હેઠળ કાર્યવાહીની માંગ કરી છે. ઉપરાંત ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં હરિઓમ વાલ્મિકી નામના દલિત વ્યક્તિની કરૂણ હત્યા, હરિયાણામાં એક સીનિયર દલિત IPS અધિકારીએ કથિત જાતિગત ભેદભાવ અને સતામણીને કારણે આઠ પાનાની સુસાઈડ નોટ લખીને આત્મહત્યા તેમજ અમદાવાદ શહેરના આસારવા વિસ્તારમાં પોલીસ કમિશનરના બંગલાથી માત્ર એક કિલોમીટરના અંતરે અનુસૂચિત જાતિની દીકરી પર ગેંગરેપની ઘટના મામલે મંચે આક્રોશ વ્યક્ત કર્યો છે. મંચે આક્ષેપ કર્યો કે, આટલી ગંભીર ઘટના છતાં ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ડીજીપી કે પોલીસ કમિશનર કોઈએ પણ એક શબ્દ બોલીને પીડિતાના પરિવારને આશ્વાસન આપ્યું નથી. દલિતો પર થયેલા અત્યાચાર અને ગુજરાત સરકારના મૌન અંગે પોતાનો રોષ વ્યક્ત કરતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે, ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં હરિઓમ વાલ્મિકી નામના દલિત સમાજના એક વ્યક્તિની બહુ ભયંકર રીતે હત્યા કરવામાં આવી,આપણે જાણીએ છીએ એમ હરિયાણાના એડિશનલ ડીજી, એક સીનિયર મોસ્ટ દલિત સમાજના આઈપીએસ અધિકારીએ 8 પાનાની સુસાઈડ નોટ લખીને જીવન ટૂંકાવવું પડ્યું, આત્મહત્યા કરી અને બી.આર. ગવઈ, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના ચીફ જસ્ટિસ એમની ઉપર સંઘ પરિવારની વિચારધારા સાથે જોડાયેલા એક એડવોકેટે જે પ્રમાણે જૂતું માર્યું. આના કારણે સમગ્ર સમગ્ર ગુજરાતમાં અને દેશમાં બહુ તીવ્ર અને ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ગુજરાતના દલિતો જૂના અત્યાચાર વખતે લડ્યા હતા વધુ માં તેમણે ઉમેર્યું કે, આના મુદ્દે ગુજરાતની ભાજપ સરકાર, આરએસએસ, સંઘ પરિવાર બધા સદંતર મૌન છે. બળાત્કારની કોઈ ઘટના કે અત્યાચારની ઘટના પશ્ચિમ બંગાળમાં થાય તો ગુજરાતના મુખ્યમંત્રી રિએક્શન આપે છે પણ અમદાવાદ શહેરના અસારવામાં પોલીસ કમિશનરના બંગલાથી એક કિલોમીટરના અંતરે શીડ્યુલ કાસ્ટની દીકરી ઉપર ગેંગરેપ કરવામાં આવ્યો તો પોલીસ કમિશનર, ડીજી, હોમ સેક્રેટરી, હોમ મિનિસ્ટર કે ગુજરાતના સીએમ એક શબ્દ બોલતા નથી એટલે ગુજરાત અને કેન્દ્રની ભાજપ સરકારનું સ્પષ્ટપણે આજે દલિત વિરોધી વલણ છે, એની વિરુદ્ધમાં અમે લોકોએ એક બહુ મોટો મોરચો તૈયાર કરવા માટે આજે ગાંધીનગર મુકામે પ્લાનિંગ અને આયોજન માટેની એક મીટિંગ રાખી છે. આવનારા દિવસોમાં ગુજરાતના દલિતો જૂના અત્યાચાર વખતે લડ્યા હતા એવા એગ્રેસિવ મોડમાં સડક ઉપર ઉતરીને આંદોલન કરતા જોવા મળશે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 6:03 pm

ચોરીના ગુનામાં 17 વર્ષથી ફરાર આરોપી MPથી ઝડપાયો:વડોદરામાં 2009માં થયેલી 3 મોટર સાયકલ ચોરીમાં સંડોવણી

વડોદરા શહેરના ન્યુ વીઆઇપી રોડ ખાતેની સોસાયટીમાંથી વર્ષ 2009માં ત્રણ મોટરસાઇકલ ચોરીના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા 17 વર્ષથી નાસતો-ફરતો રહેલો આરોપી વેલસિંગ ઉર્ફે મેલસીગ ભાચરીયા ઉર્ફે ભાપરીયા ભીલ (ઉ.વ. 45, રહે. કરચટ, તા. કુકસી, જિ. ધાર, મધ્યપ્રદેશ)ને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાંથી ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 2009માં મોટરસાયકલની ચોરી કરી ફરાર હતોઆ આરોપીએ 19 માર્ચ, 2009ના રોજ ન્યુ વીઆઇપી રોડ ખાતેની સોસાયટીમાંથી કુલ રૂ.70,000ની કિંમતની ત્રણ મોટરસાઇકલની ચોરી કરી હતી. જે અંગેનો ગુનો બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. આ ગુનામાં સંડોવાયેલ આરોપી વેલસિંગ અગાઉ મધ્યપ્રદેશના ટાન્ડા પોલીસ સ્ટેશનમાં ચોરીની એક મોટરસાઇકલ સાથે ઝડપાયો હતો, પરંતુ વડોદરા પોલીસ ત્યાં પહોંચે તે પહેલાં તે જામીન પર મુક્ત થઈ નાસી ગયો હતો. ત્યારબાદ આરોપીની શોધખોળ હોવા છતાં તે મળી આવ્યો ન હતો, જેના કારણે તેની સામે વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. વડોદરા પોલીસે મધ્યપ્રદેશમાંથી આરોપીને દબોચ્યોદરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમને ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન માહિતી મળી કે, આરોપી હાલ તેના વતન કરચટ, તા.કુકસી, જિ.ધાર, મધ્યપ્રદેશ ખાતે રહે છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે મધ્યપ્રદેશ પહોંચી, ખાનગી રીતે વોચ ગોઠવી અને આરોપીને તેના ગામમાંથી ઝડપી લીધો હતો. પ્રાથમિક પૂછપરછ અને ખાતરી દરમિયાન આરોપીની સંડોવણીની પુષ્ટિ થતાં તેને વડોદરા લાવવામાં આવ્યો અને વધુ તપાસ માટે બાપોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. ઝડપાયેલ આરોપી વેલસિંગ ઉર્ફે મેલસીગ સામે અગાઉ મધ્યપ્રદેશમાં ચોરીના વાહન સાથે ઝડપાયેલ હોવાનો ગુનો નોંધાયો છે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 5:58 pm

ભારત આદિવાસી પાર્ટી દાહોદમાં તમામ પંચાયત બેઠકો પર લડશે:ફતેપુરામાં નવા કાર્યાલયનું ઉદ્ઘાટન, ચૂંટણીલક્ષી તૈયારીઓને વેગ આપ્યો

ભારત આદિવાસી પાર્ટી (BAP) એ આગામી તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણીઓમાં દાહોદ જિલ્લાની તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી છે. આ જાહેરાત ફતેપુરા ખાતે પાર્ટીના નવા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કરવામાં આવી હતી, જ્યાં પાર્ટીએ તેની ચૂંટણીલક્ષી તૈયારીઓને વેગ આપ્યો છે. આ નવા કાર્યાલયનું ઉદ્ઘાટન રાજસ્થાનના બગોદરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય જય કિશન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા રાજુ વળવાઈ સહિત ગુજરાતના વિવિધ ગામો અને તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 'BAP' એ જિલ્લામાં પોતાના સંગઠનને મજબૂત કરવા અને વધુને વધુ કાર્યકર્તાઓને જોડવાનું અભિયાન શરૂ કર્યું છે. ફતેપુરામાં નવા કાર્યાલયની સ્થાપના એ દાહોદ જિલ્લામાં પાર્ટીના વિસ્તરણનું પ્રથમ પગલું છે, જેના દ્વારા 'BAP' આગામી ચૂંટણીઓમાં પોતાની મજબૂત હાજરી નોંધાવવા માટે કટિબદ્ધ છે. પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે, આદિવાસી બહુલ આ જિલ્લામાં પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી સમુદાયના હિતોનું રક્ષણ અને વિકાસ છે. આગામી ચૂંટણીઓમાં 'BAP'ના ઉમેદવારોની હાજરીથી દાહોદના રાજકીય સમીકરણોમાં ફેરફાર થવાની શક્યતા છે. પાર્ટીના આ આક્રમક અભિગમથી જિલ્લાના રાજકારણમાં નવો રંગ જોવા મળી શકે છે. આવનારા સમયમાં ભારત આદિવાસી પાર્ટી દાહોદ જિલ્લાના રાજકીય પટલ પર કેટલી અસર પાડે છે, તે જોવું રહેશે. હાલ તો પાર્ટીએ ચૂંટણીની તૈયારીઓને લઈને પોતાનું રાજકીય અભિયાન તેજ કરી દીધું છે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 5:56 pm

બોટાદમાં હડદડ ગામે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ:પોલીસ પર લોકોએ પથ્થરમારો કરતા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા, પોલીસ વાહનોમાં તોડફોડ;પોલીસે કોમ્બિંગ શરૂ કર્યું

બોટાદ APMCમાં કપાસના કદડાને લઈને ચાલી રહેલો વિવાદ આજે વકર્યો હતો. પોલીસ દ્વારા મંજૂરી નકારાઈ હોવા છતાં, બોટાદના હડદડ ગામે ખેડૂતોની એક પંચાયત યોજાઈ હતી, જે દરમિયાન પોલીસ અને એકઠા થયેલા લોકો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. પથ્થરમારા બાદ પોલીસે ટીયર ગેસ છોડ્યાપ્રાપ્ત માહિતી અનુસાર, હડદડ ગામે ખેડૂત પંચાયત માટે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા હતા. પોલીસે અહીં એકઠા થયેલા લોકોને વિખેરવાનો પ્રયાસ કરતાં વાતાવરણ તંગ બન્યું હતું. બબાલ દરમિયાન લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ પોલીસની ગાડીઓ પર પથ્થરમારો કરીને તોડફોડ કરી હતી.સ્થિતિ કાબૂ બહાર જતાં અને પોલીસ કર્મચારીઓને બચાવવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. ઘર્ષણ અને પથ્થરમારાના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસ વડાએ આપી હતી મંજૂરી નહીં આપવાની ચેતવણીઆ ઘટના પહેલા જ બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ સ્પષ્ટતા કરી હતી કે કિસાન પંચાયત દ્વારા જાહેર કરાયેલા એલાનને કોઈ મંજૂરી આપવામાં આવી નથી અને ભવિષ્યમાં પણ આપવામાં આવશે નહીં. પોલીસ વડાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિનું અહીં આવવું કે ભેગા થવું ગેરકાયદેસર ગણાશે. જો કોઈ વ્યક્તિ અહીં એકઠા થશે, તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કડક પોલીસ બંદોબસ્ત તૈનાતકિસાન પંચાયતના એલાનને પગલે કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બોટાદ શહેર અને જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ બંદોબસ્તમાં પોલીસ અધિક્ષક (SP) સહિત ચાર નાયબ પોલીસ અધિક્ષક (DySP), પંદર પોલીસ ઇન્સ્પેક્ટર (PI), પચાસ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) અને એક હજાર પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા, તેમ છતાં ઘર્ષણની ઘટના બની હતી.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 5:56 pm

હારીજમાં દિવાળી પહેલા બે દુકાનોમાં ચોરી:₹3 લાખથી વધુની રોકડ ચોરાઈ, CCTVમાં તસ્કર કેદ થયો

દિવાળીના તહેવાર પહેલાં જ હારીજમાં તસ્કરો બેફામ બન્યા છે. હારીજ-મહેસાણા હાઈવે પર આવેલી બે દુકાનોને નિશાન બનાવી મોડી રાત્રે ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો, જેમાં ₹3 લાખથી વધુની રોકડ રકમની ચોરી થઈ હતી. આ ઘટનાથી સ્થાનિક વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. મળતી માહિતી મુજબ, હાઈવે પર આવેલ 'ગાયત્રી હાર્ડવેર' અને 'પરમેશ્વરી ટ્રેડર્સ' નામની દુકાનોમાં તસ્કરોએ પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ દુકાનોના પતરાં તોડીને અંદર ઘૂસી ચોરીને અંજામ આપ્યો હતો. ચોરી કરનાર એક શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. આ બંને દુકાનોમાંથી તસ્કરો કુલ ₹3 લાખ ઉપરાંતની રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. છેલ્લા છ માસમાં ચોરીની અનેક ઘટનાઓ બની હોવા છતાં તસ્કરો હજી પણ પોલીસ પકડથી દૂર છે. આ ઘટનાની જાણ થતાં જ દુકાન માલિક પંકજ પટેલ દ્વારા હારીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે હારીજ પોલીસે ઘટના સ્થળે પહોંચી આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરીને આગળની તપાસ હાથ ધરી છે. તહેવારો ટાણે જ થયેલી આ મોટી ચોરીએ પોલીસ પેટ્રોલિંગની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 5:42 pm

પાણીની બુમરાણ વચ્ચે મ્યુ. કમિશનર એક્શન મોડમાં:અરુણ મહેશ બાબુએ પાણી પુરવઠા અધિકારીઓ સાથે ફાજલપુર ફ્રેન્ચ વેલનું નિરીક્ષણ કર્યું, દિવાળી સારી રીતે નીકળે તેવો પ્રયાસ

વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી પાણીની સમસ્યાને લઈ લોકોમાં ભારે બુમરાણ ઉઠી છે. ત્યારે આજે આ સમસ્યાના મૂળ સુધી પહોંચવા વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુએ મહીસાગર નદીના કાઠે આવેલા ફાજલપુર ખાતે ફ્રેન્ચ વેલનું નિરીક્ષણ કર્યું હતું. જે દરમિયાન પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. આવનારા દિવસોમાં ફ્રેન્ચ વેલનું બ્યુટીકેશન (સૌંદર્યવર્ધન) અને જાળવણીના કામ હાથ ધરાશે તેવી જાણકારી કમિશનર દ્વારા આપવામાં આવી હતી. મ્યુ. કમિશનરે પાણી પુરવઠા અધિકારીઓ સાથે મુલાકાત કરીઆ અંગે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકાના વોટર ડિપાર્ટમેન્ટ અને વોટર ડિસ્ટ્રિબ્યુશન ડિપાર્ટમેન્ટ તરફથી નિરીક્ષણ માટેની મુલાકાત કરી છે. વડોદરા શહેર માટે 600 MLD (મિલિયન લિટર્સ પર ડે) પાણીનું ઇનટેક છે, જેમાં ડિસ્ટ્રિબ્યુશન લોસેસ પછી અંદાજે 612 MLD પાણી પૂરું પાડવામાં આવે છે. આ પાણીના મુખ્ય સ્ત્રોત મહીસાગર, નર્મદા કેનાલ અને આજવા છે. બાકી રહેલા 2 MLDની ભરપાઈ માટે કામગીરી ચાલુહાલમાં, 12 MLD પાણીની અછત જોવા મળી છે. અમારા ચાર ઇનટેક વેલ્સ—રાયકા, દોડકા, પોઇચા અને ફાજલપુર—આમાંથી બે સ્થળોએ રેડિયલના કારણે માટી ભરાઈ ગઈ છે, જેના કારણે ડી-સિલ્ટિંગ (માટી દૂર કરવાની) પ્રક્રિયાની જરૂર છે. આ માટે ડી-સિલ્ટિંગ અને રેડિયલ ક્લીનિંગનું કામ શરૂ કરી દેવાયું છે. આ 12 MLDની અછતમાંથી 10 MLDની ભરપાઈ ઇન્ટરલિંકિંગ દ્વારા કરવામાં આવી છે, જેમાં ટ્યુબવેલ્સ અને ફ્રેન્ચવેલ લાઇન્સને જોડીને પાણીનું વિતરણ કરવામાં આવ્યું છે. હવે બાકી રહેલા 2 MLDની ભરપાઈ માટે કામગીરી ચાલુ છે. કામગીરીને વહેલી તકે પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધબે-ત્રણ વોર્ડ્સ અને કેટલીક સોસાયટીઓમાંથી પાણીની અછત અંગેની રજૂઆતો મળી છે. આને ધ્યાનમાં રાખીને, અમારી ટીમ આ કામગીરીને વહેલી તકે પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે. નવેમ્બર મહિનામાં, ખાસ કરીને દિવાળીના તહેવાર દરમિયાન, પાણીનો વપરાશ વધે છે, કારણ કે લોકો ઘરની સફાઈ કરે છે અથવા મહેમાનોની આવન જવન વધે છે. આના કારણે પાણીનો વપરાશ સ્વાભાવિક રીતે વધે છે, જે તહેવારોના સમયે સામાન્ય બાબત છે. ડી-સિલ્ટિંગનું કામ ડ્રેજિંગ દ્વારા શરૂ કરી દેવાયુંઅમે ખાસ ધ્યાન રાખી રહ્યા છીએ કે દિવાળી દરમિયાન કોઈના ઘરમાં પાણીની અછત ન થાય અને કોઈનું કામ અટકે નહીં. આ માટે અમે કમ્પ્રેસ્ડ એરથી પંપ બંધ કરીને ક્લીનિંગ નથી કરી રહ્યા, કારણ કે પંપ બંધ કરવાથી ચાર દિવસ સુધી પાણીની અછત થઈ શકે છે. તેથી, દિવાળી પછી આ ક્લીનિંગનું કામ હાથ ધરવામાં આવશે. જોકે, ડી-સિલ્ટિંગનું કામ ડ્રેજિંગ દ્વારા શરૂ કરી દેવાયું છે, જેની મુલાકાત અમે લીધી હતી. અમે વડોદરાના નાગરિકોને વિનંતી કરીએ છીએ કે આજથી પાણીની ભરપાઈની વ્યવસ્થા સારી રીતે થઈ જશે. ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કમાં કેટલાક લોકો પંપ લગાવીને પાણી ખેંચે છે, જેના પર નિયંત્રણ લાવવા માટે અમે યોજના બનાવી છે. બધી કામગીરી એકસાથે હાથ ધરવાનું આયોજન દિવાળી દરેકની સારી રીતે ઉજવાય, તે માટે પાણીની સમસ્યાનું નિરાકરણ કરવા અમે પ્રયત્નશીલ છીએ. આગામી દિવસોમાં ચાર ફ્રેન્ચવેલ ઇનટેક અને IOCLના પંપની જાળવણી, ક્લિયરન્સ અને ક્લીનિંગનું કામ પણ શરૂ કરવામાં આવશે. અમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર 10-15 વર્ષ જૂનું છે, જેને પેઇન્ટિંગ, ઓઇલિંગ અને રી-વર્કની જરૂર છે. પંપોની સફાઈ પણ જરૂરી છે. આ બધી કામગીરી એકસાથે હાથ ધરવાનું આયોજન છે. નવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP)નું કામ પણ નિહાળવામાં આવ્યું છે. આગામી દિવસોમાં, વડોદરા માટે 40 MLD વધારાની ક્ષમતા અને આજવામાંથી 150 MLDની વધારાની ક્ષમતા સાથેનું નવું પ્રસ્તાવિત પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. અમે આશા રાખીએ છીએ કે ડિસેમ્બર-જાન્યુઆરી સુધીમાં આ કામગીરી પૂર્ણ થશે, જેથી વડોદરાની પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવી શકાય.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 5:40 pm

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યાં:કહ્યું- NDA સરકારે માહિતી અધિકાર કાયદાને નબળો પાડ્યો, કૌભાંડો બહાર ન આવે તે માટે વ્યવસ્થિત પ્રયાસો કર્યા

માહિતી અધિકાર કાયદો (RTI) અમલમાં આવ્યાને આજે 20 વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આણંદ સ્થિત જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે આક્ષેપ કર્યો છે કે, NDA સરકારે આ કાયદાને નબળો પાડીને અનેક કૌભાંડોની માહિતી બહાર ન આવે તે માટે વ્યવસ્થિત પ્રયાસો કર્યા છે. ચાવડાએ જણાવ્યું કે, 12 ઓક્ટોબર 2005 ના રોજ કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારે માહિતી અધિકારનો ઐતિહાસિક કાયદો અમલમાં મૂક્યો હતો. આ કાયદાનો ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકોને સરકારી વિભાગો પાસેથી બજેટ ખર્ચ, યોજનાઓના લાભાર્થીઓ અને પેન્ડિંગ અરજીઓ જેવી માહિતી સરળતાથી મેળવવાનો અધિકાર આપવાનો હતો. તેમણે વધુમાં કહ્યું કે, યુપીએ સરકાર પછી NDA-મોદી સરકારે 2019માં સુધારા કરીને આ કાયદાને નબળો અને નિષ્પ્રભાવી બનાવ્યો છે. માહિતી કમિશનરોની નિયમિત ભરતી ન થવાને કારણે લાંબા સમય સુધી જગ્યાઓ ખાલી રહે છે. આના પરિણામે, લોકો જ્યારે અપીલ કરે છે ત્યારે વર્ષો સુધી તેનું નિવારણ આવતું નથી અને તેમને માહિતી મળતી નથી, જેનાથી લોકોનો અધિકાર છીનવાઈ રહ્યો છે. વર્ષ 2023 માં, NDA સરકારે ફિઝિક્સ પર્સનલ ડેટા પ્રોટેક્શન અધિનિયમ અને ખાસ કરીને કલમ 44(3) માં ફેરફારો કર્યા છે. આ ફેરફારો દ્વારા વ્યક્તિગત પગાર, ખર્ચની માહિતી તેમજ સંસ્થાઓની માહિતી માંગવામાં આવે ત્યારે તેને છુપાવવાનું વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. આના બહાના હેઠળ અનેક કૌભાંડો અને ગોટાળાની માહિતી બહાર ન આવે તે માટે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા છે. સાથે-સાથે સરકારે RTI એક્ટિવીસ્ટોમાં ડર અને ભયનો માહોલ ઉભો કર્યો છે. ગુજરાત હોય કે પછી દેશમાં કોઈપણ જગ્યાએ સરકારના ભ્રષ્ટાચાર, કૌભાંડ કે અન્ય કોઈ માહિતી બહાર લાવવાનું કામ કરી રહેલાં RTI એક્ટિવીસ્ટોની સુરક્ષા આજે નથી. બીજી બાજુ ભ્રષ્ટાચારીઓ અને કૌભાંડીઓને પ્રોટેક્શન મળી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 5:26 pm

મહીસાગર LCBએ ક્રેટા કારમાંથી 282 બોટલ વિદેશી દારૂ ઝડપ્યો:લુણાવાડાથી અમદાવાદ લઈ જવાતો ₹6.55 લાખનો વિદેશી દારૂ જપ્ત, બે આરોપી પકડાયા

મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 282 બોટલ વિદેશી દારૂ સહિત કુલ 13.66 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને બે આરોપીઓની ધરપકડ કરી છે. મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસને પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, LCB PI એમ.કે. ખાંટના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફ દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળોએ દારૂબંધી અંગે વોચ અને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન, હેડ કોન્સ્ટેબલ પંકજસિંહને બાતમી મળી હતી કે, એક સફેદ કલરની ક્રેટા ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતરામપુર તરફથી લુણાવાડા થઈ અમદાવાદ તરફ જવાનો છે. આ ચોક્કસ બાતમીના આધારે LCB સ્ટાફે સંતરામપુર-લુણાવાડા હાઈવે પર વાહન ચેકિંગ ગોઠવ્યું હતું.બાતમી મુજબની સફેદ ક્રેટા ગાડી આવતા તેને રોકવામાં આવી હતી. પોલીસે ગાડી ચાલક અને અન્ય એક ઇસમને ઝડપી લીધા હતા. ગાડીની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. ગાડીને LCB ઓફિસ લાવી વધુ તપાસ કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની 282 કાચની બોટલો મળી આવી હતી, જેની કિંમત 6,55,320 રૂપિયા થાય છે. દારૂ અને અન્ય મુદ્દામાલ મળી કુલ 13,66,430 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ અંગે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓના નામ જય હિતેન્દ્ર રાયકુવડ (રહે. ગુજરાત હાઉસીંગ બોર્ડ, સોમનાથ મંદિર પાસે, બાપુ નગર, અમદાવાદ) અને રામકુમાર બ્રિજકીશોર શર્મા (રહે. ગોકુળ ગેલેક્ષી, કઠવાડા, નિકોલ, અમદાવાદ) છે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 5:15 pm

કરમસદ-આણંદમાં ₹1.69 કરોડના વિકાસ કાર્યોનું ઈ-ખાતમુહૂર્ત:₹15 કરોડના ફાયર ઉપકરણોનું લોકાર્પણ; PM સ્વનિધિ ચેક વિતરણ

કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત શહેરી વિકાસ વર્ષ હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. નાયબ મુખ્ય દંડક રમણ સોલંકીના અધ્યક્ષસ્થાને આશરે ₹1.69 કરોડના વિકાસ કાર્યોનું ઈ-ખાતમુહૂર્ત અને ₹15 કરોડના નવીન ફાયર સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત ચેક અને કીટ વિતરણ પણ કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને ચેક, પી.એમ. સ્વનિધિ યોજના હેઠળ સ્વસહાય લોન મેળવનાર લાભાર્થીઓને પરિચય બોર્ડ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ પોષણક્ષમ કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ તકે ફાયરના સાધનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ નાયબ મુખ્ય દંડક અને ઉપસ્થિત મહાનુભાવોએ ટાઉનહોલના પટાંગણમાં પોલિયો બૂથની મુલાકાત લઈ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવ્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, 7 ઓક્ટોબર, 2001ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતની ધુરા સંભાળી ત્યારથી વિકાસને અગ્રિમતા આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના વિકાસને મક્કમતાથી આગળ વધાર્યો છે. તેમણે શહેરોના વિકાસ પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં ઉમેર્યું કે, રાજ્ય સરકારે આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે જાહેર કરી બજેટમાં વિવિધ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ માટે મોટી જોગવાઈ કરી છે. આણંદના ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે, કરમસદ-આણંદ મહાનગરપાલિકાની જાહેરાત 1 જાન્યુઆરી, 2025ના રોજ થઈ હતી. છેલ્લા 10 મહિનામાં વહીવટદાર અને કમિશનરની આગેવાની હેઠળ શહેરના વિકાસની ગતિ તેજ બની છે. તેમણે ઉમેર્યું કે, છેલ્લા 10 મહિનામાં આશરે ₹125 કરોડથી વધુના રસ્તાના કામ પૂર્ણ કરવામાં આવ્યા છે, જે આણંદના સર્વાંગી વિકાસની ગતિ દર્શાવે છે. ધારાસભ્યએ સ્વચ્છતા પર ભાર મૂકતા ઉપસ્થિત શહેરીજનોને પોતાના ઘર, ફળિયું અને સોસાયટી સ્વચ્છ રાખી સ્વચ્છતાના પર્વમાં જોડાવા અપીલ કરી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી'ના નારાને અપનાવવા અનુરોધ કર્યો. આગામી તહેવારોમાં નાની-નાની ઘર વપરાશની વસ્તુઓ સહિત સ્વદેશી કપડાં, બૂટ-ચંપલ જેવી 'મેડ ઇન ઇન્ડિયા' વસ્તુઓનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર મિલિંદ બાપના, જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતિ, અગ્રણી એચ. કે. પટેલ, નાયબ કમિશનર નિલાક્ષ મકવાણા, અન્ય અધિકારીઓ, પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 5:01 pm

મર્ડર કેસના 3 ફરાર આરોપીઓ નાસિકથી ઝડપાયા:કણભા પોલીસ સ્ટેશનના ગુનામાં નવસારી LCBએ જેલ હવાલે કર્યા

અમદાવાદ ગ્રામ્યના કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2021માં થયેલા હત્યા કેસના ત્રણ ફરાર આરોપીઓને મહારાષ્ટ્રના નાસિકથી ઝડપી પાડવામાં આવ્યા છે. નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા આ કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ આરોપીઓ અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાંથી ગુજરાત હાઈકોર્ટના આદેશથી વચગાળાના જામીન પર મુક્ત થયા હતા. જામીનની અવધિ પૂર્ણ થયા બાદ તેઓ જેલમાં હાજર ન થતાં તેમને ફરાર જાહેર કરવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં દિનેશ વિજય કબાડે (ઉં.વ. 37), અનિલ કલ્યાણ ઉગ્રેજ (ઉં.વ. 32) અને સંજય સુનીલ ભંડારી (ઉં.વ. 30) નો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓ મહારાષ્ટ્રના નાસિકના જુદા જુદા વિસ્તારોમાં રહેતા હતા. વર્ષ 2021માં થયેલી આ હત્યા પાછળનું મુખ્ય કારણ પૈસાની લેવડદેવડ હતી. મૃતક હાર્દિકભાઈની પાલક માતા ગૌરીબેન પટેલે તેમના કુટુંબના સભ્યો પાસેથી હાર્દિકભાઈના નામે આશરે 25 થી 30 લાખ રૂપિયા લીધા હતા. આ બાબતની જાણ થતાં હાર્દિકભાઈએ ગૌરીબેનને ઠપકો આપ્યો હતો, જેના કારણે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આ અદાવત રાખીને ગૌરીબેન પટેલે તેના મિત્રો દિનેશ, અનિલ અને સંજયને ઘરે બોલાવ્યા હતા. હાર્દિક સૂતો હતો ત્યારે આરોપીઓએ તેના ગળામાં કેબલ વાયર ભરાવી ગળે ટૂંપો આપી હત્યા કરી દીધી હતી. હત્યા બાદ મૃતદેહને કંતાનના કોથળામાં બાંધી કુંજાડ પુલ પર ફેંકી દેવામાં આવ્યો હતો. LCB/પેરોલ ફર્લો/ટેકનિકલ સેલની ટીમે આશરે પાંચ મહિના સુધી ટેકનિકલ સોર્સ અને ખાનગી બાતમીદારોની મદદથી વર્કઆઉટ કર્યું હતું. આખરે, આરોપીઓ મહારાષ્ટ્ર રાજ્યના નાસિક ખાતે અલગ-અલગ જગ્યાએ કામ ધંધો કરતા હોવાની ચોક્કસ બાતમી મળી હતી.બાતમીના આધારે પોલીસની ટીમ નાસિક રવાના થઈ હતી. દિનેશ વિજય કબાડે ને પાથરડી, શિવશંભુ આયુર્વેદિક મેડિકલ, જિ. અહલ્યાનગર (મહારાષ્ટ્ર) ખાતેથી, અનીલ કલ્યાણ ઉગ્રેજ અને સંજય સુનીલ ભંડારીને નાસિક શહેરના પંચવટી કપડા માર્કેટમાંથી, આમ, ત્રણેય ફરાર આરોપીઓને ઝડપી પાડી નવસારી LCB કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા અને તેમને સાબરમતી મધ્યસ્થ જેલ, અમદાવાદ ખાતે સોંપવાની આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 4:55 pm

સરકારી સહાય કૌભાંડ: બે આરોપી ઝડપાયા:લાખોની છેતરપિંડી, અન્ય બે ભાગેડુઓને પકડવા ટીમ રવાના

નવસારીમાં સરકારી સહાયના બહાને લાખો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગે લોકોને રૂ. 15,000ની સરકારી સહાયની લાલચ આપી તેમના નામે પશુપાલન લોન લઈને કુલ રૂ. 55.85 લાખની છેતરપિંડી આચરી હતી. પોલીસે ગણતરીના દિવસોમાં મુખ્ય આરોપી સહિત બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે. ટાઉન પીઆઈ અશ્વિન સરવૈયાના જણાવ્યા અનુસાર, અલ્પેશ અને અશ્વિન નામના અન્ય બે ભાગેડુઓને પકડવા માટે ટીમો રવાના કરવામાં આવી છે અને ટૂંક સમયમાં તેમની પણ ધરપકડ કરવામાં આવશે. આ કૌભાંડ અંગે નવસારીના દશેરા ટેકરી વિસ્તારના જય રમણ પટેલે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, દિનેશ પટેલ (ઉંડાચ, ગણદેવી), પ્રકાશ રાઠોડ (વેસ્મા, જલાલપોર) તેમજ સુરતના અલ્પેશ ધાની અને અશ્વિન નામના ચાર શખ્સોએ આ ગુનાહિત કાવતરું રચ્યું હતું. આરોપીઓએ ફરિયાદી સહિત આશરે 35 લોકોને સરકાર તરફથી રૂ. 15,000ની સહાય મળતી હોવાની લાલચ આપી હતી. વિશ્વાસ કેળવીને તેમણે ભોગ બનનાર પાસેથી આધારકાર્ડ, પાનકાર્ડ અને ફોટા જેવી અંગત વિગતો મેળવી લીધી હતી. ત્યારબાદ, આરોપીઓ ભોગ બનનાર તમામને નવસારી અને આસપાસની બેંક ઓફ બરોડાની શાખાઓ જેવી કે લુન્સીકૂઇ, કોથમડી, વિજલપોર, ખત્રીવાડ, કબીલપુર અને મરોલી બજારમાં લઈ ગયા હતા. અહીં સહાયના નામે તેમના બેંક ખાતા ખોલાવવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 4:51 pm

NRIની જમીન પચાવી પાડવાનો મામલો:જામનગરમાં બે આરોપી ઝડપાયા, ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

મૂળ જામનગરના અને હાલ યુ.કે.માં સ્થાયી થયેલા એનઆરઆઈ અમિત દામજીભાઈ શાહની જામનગર તાલુકાના વસઈ ગામમાં આવેલી આશરે 9 વીઘા ખેતીની કિંમતી જમીન પચાવી પાડવાનું કાવતરું સામે આવ્યું છે. આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. અમિતભાઈ દામજીભાઈ શાહ યુ.કે.માં વ્યવસાય કરે છે. અમિતભાઈ દામજીભાઈ આ જમીન 25 વર્ષ પહેલાં, સને 2000માં પોતાના નામે દસ્તાવેજ કરાવી હતી. તેઓ યુ.કે.થી સમયાંતરે ભારત આવીને પોતાની જમીનનું નિરીક્ષણ કરતા હતા. વર્ષ 2024 સુધી તેમની જમીન યથાવત હતી, પરંતુ તાજેતરમાં તેમને જાણ થઈ કે તેમની જમીનના વેચાણ દસ્તાવેજો જામનગર પંથકમાં ફરી રહ્યા છે. આથી તેમણે જામનગર આવીને ખરાઈ કરતાં જાણવા મળ્યું કે, તેમની જમીન અન્યના નામે વેચાઈ ગઈ છે અને તેને ફરીથી મોટી રકમમાં વેચવાનું કાવતરું ચાલી રહ્યું છે. તેમણે તુરંત જ જામનગર ગ્રામ્ય વિસ્તારના પ્રાંત અધિકારી સમક્ષ અરજી કરી હતી. તપાસમાં સામે આવ્યું કે, જમીન જામનગરના ભગવાનજીભાઈ હંસરાજભાઈ ગોરીના નામે ટ્રાન્સફર થઈ હતી. મુંબઈના અમિતભાઈ દામજીભાઈ શાહ નામના એક શખ્સે તેનો ખોટો દસ્તાવેજ બનાવ્યો હતો, જેમાં જામનગરના નવીનભાઈ રામજીભાઈ ગોરી અને મુંબઈના યોગેશ કેશવજીભાઈ શાહે સાક્ષી તરીકે સહી કરી હતી. આ બનાવટી દસ્તાવેજો ગત 11 ફેબ્રુઆરી, 2025ના રોજ બનાવવામાં આવ્યા હતા અને જામનગરની સબ-રજિસ્ટ્રાર કચેરીમાં તેની નોંધણી કરાવાઈ હતી. એનઆરઆઈએ આ કિંમતી જમીનના ખોટા દસ્તાવેજો બનાવનાર જામનગર અને મુંબઈના ચારેય શખ્સો સામે સિક્કા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સિક્કા પોલીસે ગુનો નોંધી ભગવાનજીભાઈ ગોરી અને નવીનભાઈ ગોરી નામના બે શખ્સોની ધરપકડ કરી હતી. તેમને કોર્ટમાં રજૂ કરી છ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે વધુ તપાસ માટે બંને આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે બંનેને રિમાન્ડ પર લઈ આ સમગ્ર મામલાની વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 4:50 pm

બીલીમોરા સ્ટેશન રોડ પર બે આખલા બાખડ્યા:પાર્ક કરેલા 3 બાઈકને નુકસાન, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

બીલીમોરા શહેરના સ્ટેશન રોડ પર આજે બે રખડતા આખલાઓ બાખડ્યા હતા. આ ઘટનામાં રોડ કિનારે પાર્ક કરેલા ત્રણ બાઈકને નુકસાન થયું હતું, જ્યારે લડાઈ જોઈ રહેલો એક યુવક માંડ બચ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આખલાઓની લડાઈ એટલી ઉગ્ર હતી કે રોડની બાજુમાં પાર્ક કરેલા ત્રણ બાઈકમાં નુકસાન થયું હતું. લડાઈ દરમિયાન, એક યુવક જે બાઈક પર બેસીને આ દ્રશ્ય જોઈ રહ્યો હતો, તે પણ બાઈક સાથે નીચે પટકાયો હતો. જોકે, તેણે સમયસૂચકતા વાપરીને નજીકની દુકાનમાં આશ્રય લેતા તેને ગંભીર ઈજા થતા બચાવ થયો હતો. વાહનોને નુકસાન થતું જોઈને આસપાસના વેપારીઓ બહાર આવ્યા હતા. તેમણે પાણી અને લાકડીઓનો ઉપયોગ કરીને લડતા આખલાઓને છૂટા પાડ્યા હતા, જેનાથી વધુ નુકસાન થતું અટકાવ્યું હતું. બીલીમોરા શહેરમાં રખડતા ઢોરોનો આતંક એક ગંભીર સમસ્યા બની ગયો છે. સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓ આખલાઓની લડાઈથી ભયભીત છે, કારણ કે આવી ઘટનાઓ વારંવાર બને છે. છેલ્લા બે મહિનામાં આ પ્રકારની આખલા લડાઈનો આ ત્રીજો બનાવ સામે આવ્યો છે, જે નગરપાલિકાની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કરે છે. શહેરીજનોની માંગ છે કે બીલીમોરા નગરપાલિકા તાત્કાલિક ધોરણે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરે અને લોકોને આ દૈનિક આતંકમાંથી મુક્તિ અપાવે. મુખ્ય માર્ગો પર રખડતા ઢોર હવે નગરપાલિકા માટે માથાનો દુખાવો બની ગયા છે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 4:47 pm

દિવાળીના પર્વમાં સોમવારે પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખુલ્લુ રહેશે:20 ઓક્ટોબરે SoUના તમામ પ્રકલ્પો ખુલ્લા રહેશે, પ્રવાસીઓને ધ્યાને લઈ નિર્ણય, મંગળવારે બંધ રખાશે

વિશ્વભરના પ્રવાસીઓ માટે આજે પ્રથમ પસંદગીનું સ્થળ બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી (SoU) ખાતેના પ્રકલ્પો માટે તહેવારોને ધ્યાને લઈને મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. 20 ઓક્ટોબર, 2025ના રોજ દિવાળી પર્વ નિમિત્તે સોમવારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના તમામ પ્રવાસીય પ્રકલ્પો ખુલ્લા રાખવામાં આવશે. જોકે, તેના બીજા દિવસે, એટલે કે 21 ઓક્ટોબરના રોજ, મરામત કાર્ય માટે તમામ પ્રકલ્પો બંધ રહેશે. વ્યાપક હિતમાં SoUADTGAનો નિર્ણયસામાન્ય રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રવાસીય પ્રકલ્પો પ્રતિ સોમવારે સાપ્તાહિક મરામત કાર્ય માટે બંધ રાખવામાં આવે છે. પરંતુ તહેવારોની રજાઓ અને પ્રવાસીઓના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ (SoUADTGA) દ્વારા આ નિર્ણય લેવાયો છે. અગાઉ આ નિર્ણયને સારો પ્રતિસાદ મળ્યોSoUADTGAના અધિક કલેકટર ગોપાલ બામણીયાએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન જાહેર કરાયેલી રજાઓમાં પ્રવાસીઓને તમામ પ્રકલ્પોની મુલાકાત કરવા મળે તે હેતુથી 20 ઓક્ટોબરે, દિવાળી પર્વે તમામ પ્રકલ્પો ખુલ્લા રાખવાનો વ્યાપક હિતમાં નિર્ણય લેવાયો છે. આનાથી પ્રવાસીઓને શનિવાર, રવિવાર અને સોમવારના મિની વેકેશનનો મહત્તમ લાભ મળી શકશે. અગાઉ પણ સોમવારે ઉજવાતા તહેવારો નિમિત્તે પ્રકલ્પો ખુલ્લા રાખવાના નિર્ણયને સારો પ્રતિસાદ મળ્યો હતો. પ્રવાસીઓને અપીલસત્તામંડળ દ્વારા પ્રવાસીઓને અપીલ કરવામાં આવી છે કે, ઉપરોક્ત દિવસો દરમિયાન પ્રવાસ માટે પોતાની ટિકિટ ફક્ત અધિકૃત વેબસાઇટ www.soutickets.in પરથી જ બુક કરાવે. સાથે જ, પ્રવાસીઓને 21 ઓક્ટોબરે (મંગળવાર)ના રોજ રજા જાહેર કરી હોવાથી, તે દિવસે પોતાના પ્રવાસનું આયોજન ન કરવા વિનંતી કરાઈ છે.મુખ્ય આકર્ષણો અને અનુભવો સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) અને મ્યુઝિયમ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા: આ 182 મીટર ઊંચી પ્રતિમા ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે. વ્યૂઇંગ ગેલેરી: પ્રતિમામાં 153 મીટરની ઊંચાઈએ સ્થિત આ ગેલેરી પરથી પ્રવાસીઓ નર્મદા નદી, સરદાર સરોવર ડેમ અને આસપાસના શૂલપાણેશ્વર વન્યજીવ અભયારણ્યનો મનોહર પૅનોરેમિક નજારો માણી શકે છે. મ્યુઝિયમ અને ઑડિઓ-વિઝ્યુઅલ ગેલેરી: પ્રતિમાના પાયામાં બનેલા મ્યુઝિયમમાં સરદાર પટેલના જીવન, ભારતના સ્વતંત્રતા સંગ્રામ અને આઝાદ ભારતના નિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાનની ગાથા રજૂ કરવામાં આવી છે. પ્રોજેક્શન મેપિંગ શો: સાંજે પ્રતિમા પર લાઇટ એન્ડ સાઉન્ડ (લેઝર) શો યોજાય છે, જે સરદાર પટેલના ઇતિહાસ અને વારસાને ભવ્ય રીતે દર્શાવે છે. 2 સરદાર સરોવર ડેમ એન્જિનિયરિંગનો અજાયબી: નર્મદા નદી પર બનેલો આ ડેમ ભારતની સૌથી મોટી જળસંપત્તિ યોજનાઓ પૈકી એક છે. ડેમના વ્યુ-પોઇન્ટ્સ પરથી તેનું ભવ્ય સ્વરૂપ જોવું એક યાદગાર અનુભવ છે. એકતા ક્રૂઝ / નૌકા વિહાર: નર્મદા નદીમાં ક્રૂઝ દ્વારા પ્રવાસ કરવાની સુવિધા ઉપલબ્ધ છે, જ્યાંથી SOU અને આસપાસના કુદરતી સૌંદર્યનો અદ્ભુત નજારો મળે છે. અહીં હાઇ-સ્પીડ બોટિંગ પણ ઉપલબ્ધ છે. નર્મદા મહા આરતી: નર્મદાના કિનારે યોજાતી ભવ્ય આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ જોડાય છે. પ્રકૃતિ, વન્યજીવ અને થીમ ગાર્ડન્સ 3 વેલી ઓફ ફ્લાવર્સ (ફૂલોની ખીણ) SOUની આસપાસ 17 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલી આ રંગબેરંગી ખીણમાં 300થી વધુ પ્રકારના ફૂલો અને છોડ છે. તે નર્મદાના કાંઠે એક દૃશ્યકલા સમાન છે અને ફોટોગ્રાફી માટે ઉત્તમ સ્થળ છે. 4. જંગલ સફારી પાર્ક (સરદાર પટેલ ઝૂઓલોજિકલ પાર્ક) એકતાનગરના આ આધુનિક ઝૂઓલોજિકલ પાર્કમાં દેશ-વિદેશના વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓનો અનોખો સંગ્રહ છે. જિયોડેસિક એવિયરી ડોમ્સ: આ વિશાળ ડોમ્સમાં પક્ષીઓને તેમના કુદરતી આવાસ જેવું વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું છે, જ્યાં પ્રવાસીઓ વિવિધ પક્ષીઓને નજીકથી જોઈ શકે છે. પેટ ઝોન: અહીં પાલતુ પ્રાણીઓ સાથે પ્રવાસીઓ સંવાદ સાધી શકે છે. 5. યુનિટી ગ્લો ગાર્ડન રાત્રે મુલાકાત લેવા જેવું આ એક અનોખું થીમ પાર્ક છે, જ્યાં LED લાઇટ્સની મદદથી વિવિધ પ્રાણીઓ, આકૃતિઓ અને ઓપ્ટિકલ ઇલ્યુઝન્સ તૈયાર કરાયા છે, જે રાતના અંધારામાં ઝળહળી ઉઠે છે. 6. આરોગ્ય વન અને વિશ્વ વન આરોગ્ય વન (હર્બલ ગાર્ડન): આ વેલનેસ પાર્કમાં 380થી વધુ પ્રકારની ઔષધીય વનસ્પતિઓ છે, જે આયુર્વેદ અને હોલિસ્ટિક હેલ્થ (સર્વગ્રાહી સ્વાસ્થ્ય) વિશે માહિતી આપે છે. વિશ્વ વન: આ પ્રોજેક્ટમાં દુનિયાના સાત ખંડોની ઔષધિ વનસ્પતિ, છોડ અને વૃક્ષો છે, જે વિવિધતામાં એકતાનો સંદેશ આપે છે. 7. કેક્ટસ ગાર્ડન અને બટરફ્લાય ગાર્ડન કેક્ટસ ગાર્ડન: ૨૫ એકરમાં ફેલાયેલ આ બગીચામાં થોર (કેક્ટસ) અને સેક્યુલન્ટ્સની ૪૫૦થી વધુ પ્રજાતિઓ છે. બટરફ્લાય ગાર્ડન: અહીં પતંગિયાઓની ૭૦થી વધુ પ્રજાતિઓ અને તેમને પોષણ આપતા ૧૫૦થી વધુ હોસ્ટ પ્લાન્ટ્સ છે. પ્રવાસીઓ અહીં પતંગિયાના જીવનચક્રને પણ નિહાળી શકે છે. સાહસ અને અન્ય પ્રવૃત્તિઓ 8. રિવર રાફ્ટિંગ નર્મદા નદી પર ખાલવાની ખાતે રિવર રાફ્ટિંગની સુવિધા ઉપલબ્ધ છે, જે સાહસપ્રેમીઓ માટે એક રોમાંચક અનુભવ છે. 9. એડવેન્ચર પાર્ક અને સાઈકલિંગ અહીં એડવેન્ચર પાર્કમાં ઝિપ-લાઇનિંગ અને અન્ય સાહસિક પ્રવૃત્તિઓનો આનંદ માણી શકાય છે. નદી કિનારે અને આસપાસના વિસ્તારમાં રિવરફ્રન્ટ સાઈકલિંગની મજા પણ માણી શકાય છે. 10. મેઝ ગાર્ડન (ભુલભુલામણી ગાર્ડન) દેશનો સૌથી મોટો આ ભુલભુલામણી ગાર્ડન પ્રવાસીઓ માટે મનોરંજક આકર્ષણનું કેન્દ્ર છે. આ ઉપરાંત, પ્રવાસીઓ અહીં ઝરવાણી ધોધ (Zarwani Waterfall), દિનો ટ્રેઇલ (Dino Trail), મિયાવાકી ફોરેસ્ટ અને એકતા નર્સરી જેવી જગ્યાઓની પણ મુલાકાત લઈ શકે છે. એકતા નગર ખાતે રેલવે અને બસ સ્ટેશન​​​​​​​એકતા નગર રેલવે સ્ટેશન (KDCY): આ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે, જે માત્ર 5 કિલોમીટર દૂર છે. બસ સ્ટેશન: કેવડિયા બસ સ્ટોપ સૌથી નજીકનું બસ સ્ટોપ છે, જ્યાંથી સ્થાનિક ઓટો અને બસો દ્વારા સ્ટેચ્યુ સુધી પહોંચી શકાય છે. પ્રવાસનો સમય ટ્રાફિક અને પસંદ કરેલા ચોક્કસ રૂટ પર આધારિત છે.​​​​​​​1. અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી અમદાવાદથી SOUનું આશરે અંતર 190થી 200 km છે અને મુસાફરીનો સમય 2.5 થી 5 કલાક જેટલો લાગે છે. માર્ગ (Road)કાર/ટેક્સી: તમે સ્વ-ડ્રાઇવિંગ દ્વારા અથવા ખાનગી ટેક્સી (કેબ) દ્વારા 3થી 4 કલાકમાં આરામથી પહોંચી શકો છો. રોડ કનેક્ટિવિટી ઉત્તમ છે. બસ: GSRTC (ગુજરાત રાજ્ય પરિવહન) ની નિયમિત બસ સેવાઓ અમદાવાદના મુખ્ય બસ ટર્મિનલ્સ (જેમ કે રાણીપ બસ ટર્મિનલ અથવા ગીતા મંદિર) થી સીધી એકતા નગર (કેવડિયા) સુધી ઉપલબ્ધ છે. આ મુસાફરીમાં આશરે 4થી 5 કલાક લાગે છે. રેલમાર્ગ (Train)સીધી ટ્રેન: અમદાવાદ જંકશન (ADI)થી સીધી ટ્રેન એકતા નગર (Ekta Nagar - KDCY) રેલવે સ્ટેશન સુધી ઉપલબ્ધ છે. આ સૌથી અનુકૂળ વિકલ્પો પૈકી એક છે અને તેમાં આશરે 2.5થી 3 કલાક લાગે છે. નોંધ: એકતા નગર રેલવે સ્ટેશન SOUથી માત્ર 5 km દૂર છે, જ્યાંથી સ્થાનિક ટ્રાન્સપોર્ટ મળી રહે છે. વિમાન માર્ગ (Air)એરપોર્ટ: સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (AMD) સૌથી નજીકનું મોટું એરપોર્ટ છે, પરંતુ અહીંથી સીધી કનેક્ટિવિટી નથી. એરપોર્ટ પર ઉતરીને તમારે કાર અથવા ટ્રેન દ્વારા આગળની મુસાફરી કરવી પડશે. 2. સુરતથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુરતથી SOUનું આશરે અંતર 150થી 160 km છે અને મુસાફરીનો સમય 2.5 થી 4 કલાક જેટલો લાગે છે. માર્ગ (Road)કાર/ટેક્સી: ખાનગી વાહન અથવા ટેક્સી દ્વારા તમે 2.5થી 3.5 કલાકમાં SOU પહોંચી શકો છો. બસ: GSRTC અને ખાનગી બસ સેવાઓ સુરતથી સીધી એકતા નગર (કેવડિયા) સુધી ઉપલબ્ધ છે, જેમાં આશરે 3.5થી 4 કલાક લાગે છે. રેલમાર્ગ (Train)સીધી ટ્રેન: સુરતથી પણ એકતા નગર (KDCY) રેલવે સ્ટેશન માટે સીધી ટ્રેન સેવાઓ ઉપલબ્ધ છે, જેમાં આશરે 3.5થી 4 કલાકનો સમય લાગે છે. વિમાન માર્ગ (Air)કનેક્ટિવિટી: સુરત એરપોર્ટ (STV) થી સીધી ફ્લાઇટ કનેક્ટિવિટી નથી. પ્રવાસીઓ વડોદરા એરપોર્ટ (BDQ) સુધી ફ્લાઇટ લેવાનું વિચારી શકે છે, જે SOUથી માત્ર 90 km દૂર છે. 3. વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વડોદરા એ SOUનું સૌથી નજીકનું મોટું શહેર અને મુખ્ય કનેક્ટિંગ હબ છે. અંતર માત્ર 85થી 90 km છે. માર્ગ (Road)કાર/ટેક્સી: સૌથી ઝડપી માર્ગ. તમે માત્ર 1.5 to 2 Hours માં વડોદરાથી SOU પહોંચી શકો છો. બસ: વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનથી એકતા નગર (કેવડિયા) માટે GSRTCની બસો નિયમિતપણે ઉપલબ્ધ છે, જેમાં આશરે 2થી 3 Hours લાગે છે. રેલમાર્ગ (Train)સીધી ટ્રેન: વડોદરા રેલવે સ્ટેશનથી એકતા નગર (KDCY) માટે સીધી ટ્રેન સેવાઓ ઉપલબ્ધ છે, જે ખૂબ જ આરામદાયક છે અને માત્ર 1.5થી 2 કલાકનો સમય લે છે. વિમાન માર્ગ (Air)સૌથી નજીકનું એરપોર્ટ: વડોદરા એરપોર્ટ (BDQ - સિવિલ એરપોર્ટ હરણી) SOUથી સૌથી નજીકનું એરપોર્ટ છે (આશરે 90 km), જ્યાંથી ટેક્સી દ્વારા SOU સુધી પહોંચી શકાય છે. 4. રાજકોટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી રાજકોટથી SOUની મુસાફરી લાંબી છે. આશરે અંતર 415થી 437 km છે. માર્ગ (Road)કાર/ટેક્સી: રોડ ટ્રિપનો સમય આશરે 5.5થી 7 કલાકનો છે. બસ: GSRTCની બસો (સ્લીપર/એસી) રાજકોટથી સીધી એકતા નગર (કેવડિયા) સુધી ઉપલબ્ધ છે, જેમાં આશરે 9થી 10 કલાક લાગે છે. રેલમાર્ગ (Train)કનેક્ટિંગ ટ્રેન: રાજકોટથી સીધી ટ્રેન સેવા ઉપલબ્ધ નથી. તમારે રાજકોટથી પહેલા અમદાવાદ જંકશન (ADI) અથવા વડોદરા જંકશન (BRC) જવું પડશે અને ત્યાંથી એકતા નગર (KDCY) માટે કનેક્ટિંગ ટ્રેન લેવી પડશે. કુલ મુસાફરીનો સમય આશરે 7.5થી 8 કલાક થાય છે. વિમાન માર્ગ (Air)કનેક્ટિવિટી: રાજકોટથી સીધી ફ્લાઇટ કનેક્ટિવિટી નથી. રાજકોટથી ફ્લાઇટ દ્વારા અમદાવાદ (AMD) અથવા વડોદરા (BDQ) સુધી જઈ શકાય છે, અને ત્યારબાદ ત્યાંથી કાર અથવા ટ્રેન દ્વારા SOU સુધી પહોંચવું પડે છે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 4:42 pm

'ધ રિવાજ' સખી મંડળની મહિલાઓ આત્મનિર્ભર બની:ઝાલાવાડ શોપિંગ ફેસ્ટિવલથી વ્યવસાયિક મુશ્કેલીઓનો અંત આવ્યો

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત 'ઝાલાવાડ શોપિંગ ફેસ્ટિવલ સ્વદેશી મેળો' સ્થાનિક કારીગરો અને સખી મંડળો માટે આત્મનિર્ભરતાનું ઉત્તમ માધ્યમ બન્યો છે. 'વોકલ ફોર લોકલ'ના સૂત્રને સાર્થક કરીને, આ મેળો જિલ્લાની મહિલાઓ અને નાના ઉદ્યોગસાહસિકોને મોટું બજાર પૂરું પાડી રહ્યો છે. 'ધ રિવાજ' સખી મંડળના બહેનો માટે આ ફેસ્ટિવલ વ્યવસાયિક મુશ્કેલીઓનો અંત લાવનાર સાબિત થયો છે. 'ધ રિવાજ' સખી મંડળ 10 બહેનોના સહયોગથી ચાલે છે. આ બહેનો ગૃહઉદ્યોગ હેઠળ વેડિંગ પેકેજિંગ અને હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓનું નિર્માણ કરે છે. તેમની કારીગરીમાં ગિફ્ટ ટ્રે, વેડિંગ ટ્રે, બેબી શાવર ટ્રે, ગૃહ પ્રવેશની વસ્તુઓ, ડેકોરેટિવ શ્રીફળ અને કંકુ પગલાંના રૂમાલ જેવી અનેક વિશિષ્ટ હાથથી બનાવેલી વસ્તુઓનો સમાવેશ થાય છે. અગાઉ, આ બહેનો તેમની વસ્તુઓનું વેચાણ માત્ર ઘરેથી જ કરતા હતા, જેના કારણે તેમનો વ્યવસાય મર્યાદિત હતો. પૂરતા માર્કેટિંગના અભાવે તેમની આવક ઓછી રહેતી હતી. જ્યારે તેઓ અન્ય ગામો કે શહેરોમાં વેચાણ માટે જતા, ત્યારે પરિવહનનો ખર્ચ આવતો અને અવરજવરમાં પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ઝાલાવાડ શોપિંગ ફેસ્ટિવલ શરૂ થવાથી આ સમગ્ર ચિત્ર બદલાઈ ગયું છે. મંડળના પ્રમુખ જયશ્રીબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ઝાલાવાડ શોપિંગ ફેસ્ટિવલ માત્ર એક મેળો નથી, પરંતુ તે જિલ્લાની મહિલાઓની મહેનત અને કૌશલ્યને એક અલગ ફલક પર લાવતું એક શક્તિશાળી પ્લેટફોર્મ છે. જયશ્રીબેન ત્રિવેદીના જણાવ્યા મુજબ, તેઓ દર વર્ષે સરકાર દ્વારા યોજાતા આ મેળાઓમાં ભાગ લે છે અને તેનાથી તેમના વ્યવસાયને ખૂબ જ મોટો લાભ થયો છે. આ મેળામાં તેમને સારો વેપાર તો મળે જ છે, પરંતુ સૌથી મહત્ત્વનું એ છે કે તેમને અનેક નવા વ્યાવસાયિક કોન્ટેક્ટ્સ પ્રાપ્ત થાય છે, જેના થકી તેમનું કામકાજ આખું વર્ષ ચાલી શકે છે. આ પ્રકારના આયોજનથી સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન મળે છે અને સખી મંડળની બહેનોને આર્થિક સશક્તિકરણ તરફ આગળ વધવાની પ્રેરણા મળે છે. આમ, આ મંડળની બહેનોએ વાતનો જીવંત પુરાવો છે કે, સરકારી સહાય અને સાચા પ્લેટફોર્મથી સ્થાનિક મહિલા શક્તિ આત્મનિર્ભરતા તરફની મજબૂત છલાંગ લગાવી શકે છે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 4:41 pm

ભરૂચમાં 7 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ:ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 24 વર્ષ પૂર્ણ થતા રાજ્યમાં ઠેર ઠેર વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. વિકાસ વર્ષ 2025 અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહ ઉજવણીના ભાગરૂપે આઉટગ્રોથ વિસ્તારોમાં વિવિધ વિકાસાત્મક પ્રોજેક્ટો હાથ ધરવામાં આવ્યા છે. શહેરના વોર્ડ નંબર 6 માં યોજાયેલા કાર્યક્રમમાં કુલ અંદાજીત ₹7 કરોડથી વધુના ખર્ચે હાથ ધરાયેલ આ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો ભવ્ય કાર્યક્રમ આજ રોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, ઉપપ્રમુખ અક્ષય પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. નગરપાલિકા દ્વારા શહેરના આઉટગ્રોથ વિસ્તારોમાં માર્ગ, ડ્રેનેજ, લાઇટિંગ તથા અન્ય આધુનિક સુવિધાઓના વિકાસ માટે યોજનાઓ અમલમાં મૂકાઈ રહી છે. કાર્યક્રમના શુભારંભમાં વોર્ડ નંબર 6માં રૂપિયા 90 લાખના ખર્ચે નિર્માણ પામનાર પીવાના પાણીની નવી ટાંકીની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું. સાથે જ રાજ્ય સરકાર ની આઉટગ્રોથ યોજના અંતર્ગત વોર્ડ નંબર 6માં અત્યાર સુધી રૂપિયા 4 કરોડના વિકાસના વિવિધ કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે ત્યારે આવનારા સમયમાં અન્ય પ્રકલ્પોનું પણ લોકાર્પણ કરવામાં આવશે. વિકાસ સપ્તાહ ના અંતર્ગત આ કાર્યક્રમ શહેરના સર્વાંગી વિકાસ માટે એક વધુ મહત્વપૂર્ણ કદમ ગણાશે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 4:39 pm

બોટાદ APMCનો મોટો નિર્ણય:વિવાદ બાદ તાત્કાલિક બેઠક બોલાવી કડદો પ્રથા સંપૂર્ણ બંધ કરાઈ, બે દિવસમાં યાર્ડ શરૂ થશે

બોટાદ APMCમાં કડદા વિવાદને લઈને છેલ્લા ત્રણ દિવસથી બંધ પડેલા માર્કેટિંગ યાર્ડને ફરી શરૂ કરવા માટે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં બે દિવસમાં યાર્ડ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. APMC ચેરમેન દ્વારા બોલાવવામાં આવેલી આ તાત્કાલિક બેઠકમાં વેપારીઓ, કમિશન એજન્ટો અને સેવા સહકારી મંડળીઓના પ્રમુખો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન, બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદો પ્રથા સંપૂર્ણપણે બંધ કરવાની ચેરમેને જાહેરાત કરી હતી. ખેડૂતો દ્વારા લાવવામાં આવતા માલ પર બે ઇન્સ્પેક્ટરો દ્વારા દેખરેખ રાખવામાં આવશે. કડદો કરનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરીને તેનું લાઇસન્સ રદ કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરાઈ હતી. બોટાદ માર્કેટિંગ યાર્ડની સ્થાપના સમયથી એક નિયમ છે કે યાર્ડથી ૬ કિલોમીટરના વિસ્તારમાં કપાસ ખેડૂતોએ લઈને જવાનો હોય છે. જો અંતર ૬ કિલોમીટરથી વધુ હોય, તો કપાસ ખરીદનારે ભાડું ચૂકવવું પડે છે. ચેરમેને કેટલાક બહારના લોકો દ્વારા માર્કેટિંગ યાર્ડની કામગીરીમાં અવરોધ ઊભો કરવામાં આવી રહ્યો હોવાની બાબતને વખોડી કાઢી હતી.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 4:38 pm

ભુજમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:LCB ટીમે એક આરોપીને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો

ભુજમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. પશ્ચિમ કચ્છ-ભુજની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ટીમે એક આરોપીને ઝડપી પાડી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ચોરી 9 ઓક્ટોબરના રોજ રાત્રિના સમયે વોકળા ફળિયામાં આવેલી લક્ષ્મી સેલ્સ દુકાનમાં થઈ હતી. LCBની ટીમને ખાનગી બાતમી મળી હતી કે, રામજી ઉર્ફે ગબ્બર વિશ્રામ વાઘેલા (રહે. સરવામંડપ પાસે, ભુજ) હાલ આશાપુરા સ્કૂલ પાસે હાજર છે અને તેની પાસે ચોરીથી મેળવેલ સિગારેટ તથા રજનીગંધાના પેકેટ છે, જે તે સગેવગે કરવાની પેરવીમાં છે. આ બાતમીના આધારે પોલીસે મજકુર ઇસમને શોધી કાઢ્યો હતો. પોલીસે રામજી ઉર્ફે ગબ્બર વાઘેલા પાસેથી મુદ્દામાલ બાબતે આધાર પુરાવા માંગતા તેણે પોતાની પાસે કોઈ પુરાવા ન હોવાનું જણાવ્યું હતું. યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે, 9 ઓક્ટોબરના રોજ રાત્રિના આશરે એક વાગ્યાના અરસામાં તેણે ભુજ મધ્યે વોકળા ફળિયામાં આવેલી લક્ષ્મી સેલ્સ દુકાનમાં ઉપરથી પતરા ખોલી પ્રવેશ કર્યો હતો અને દુકાનમાંથી ચોરી કરી હતી. તેણે ચોરીનો મુદ્દામાલ પોતાની પાસે રાખ્યો હતો અને આજે તે વેચવા નીકળ્યો હતો. આરોપી પાસેથી સિગારેટના 10 પેકેટ (કિં.રૂ. 3100), રજનીગંધાના 4 પેકેટ (કિં.રૂ. 1840) અને 2 એન્ડ્રોઇડ મોબાઇલ ફોન (કિં.રૂ. 10,000) સહિત કુલ રૂ. 14,940નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીને વધુ કાર્યવાહી માટે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી રામજી ઉર્ફે ગબ્બર વિશ્રામ વાઘેલા (ઉ.વ. 22) હાલ શનિદેવ મંદિર સામે, ભક્તિપાર્ક, ભુજ ખાતે રહે છે અને મૂળ સરવા મંડપ પાસે, શક્તિ હોટેલ પાછળ, ભુજનો રહેવાસી છે. ઉલ્લેખનીય છે કે, આ આરોપી સામે ભુજ શહેર એ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરીની ચાર અલગ-અલગ ફરિયાદો નોંધાયેલી છે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 4:37 pm

ગર્ભમાં બાળકનું અને સારવાર દરમિયાન માતાનું મોત:સાયુજ હોસ્પિટલના તબીબ પર બેદરકારીનો આક્ષેપ, પરિવારજનોએ કહ્યું- તબીબ સામે પગલાં નહીં લેવાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારીશું નહીં

વડોદરા શહેરના ખોડિયાર નગર વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં પ્રસૂતિ માટે દાખલ થયેલી મહિલાના ગર્ભમાં રહેલા બાળકનું મોત થયું હતું. મહિલાની હાલત પણ ગંભીર હોવાથી તેને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં મહિલાનું મોત થતા પરિવારજનોએ તબીબ પર બેદરકારીના ગંભીર આક્ષેપ કર્યા છે. આ મામલે હાલમાં બાપોદ પોલીસે એડી દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા નજીક આવેલા આજવા રોડ સિકંદરપુરા ગામે રહેતી મિતલબેન રાહુલભાઇ ભાલીયા નામની સગર્ભા મહિલા ખોડિયારનગર નજીક આવેલી સાયુજ પ્રસૂતિ ગૃહમાં દાખલ થઇ હતી. પરિવારનું કહેવું છે કે, ડોક્ટર એક જ વખત જોવા આવ્યા હતા. દીકરીને રાતે દુખાવો વધી જવા છતાંય ડોક્ટર આવ્યા નહોતા. અસહ્ય દુખાવો થતો હોવા છતાં કોઈ ટ્રીટમેન્ટ કરી નથી. તેઓએ કહ્યું કે, અમે તેના ઓપરેશન માટે કહ્યું હતું પરંતુ ડોક્ટરે ના પાડી હતી. અમને ન્યાય નહીં મળે અને ડોક્ટર સામે પગલા નહીં લેવાય ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારીશું નહીં. પીડિતાની સ્થિતિ વધુ બગડતા સવારે ડોક્ટરે આવીને તેની વધુ ડોક્ટરો સાથે સર્જરી કરી હતી. ત્યારે બાળક ગર્ભમાં મોત નીપજ્યું હતું. સાથે મહિલાની ગર્ભાશયની કોથળી પણ ફાટી ગઇ હતી જેથી તેને અન્ય હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવી હતી. આ મહિલાની સ્થિતિ નાજુક થતા ગતરોજ મોત નીપજ્યું હતું. આ અંગે ડૉ.સાયુજે જણાવ્યું હતું કે, દર્દીને અમે દાખલ કર્યું હતું. પહેલા તેઓને નોર્મલ ડિલિવરી હતી. જેથી તેઓએ નોર્મલ ડિલિવરીનો આગ્રહ રાખ્યો હતો. રાત્રે દર્દીને તફલીક થતા અમે કન્ડીશન જોઈ ડોકટરોની ટીમ સાથે રાખીને ડિલિવરી કરી હતી. જેમાં બાળકનું મોત થયું હતું. આ બાદ મહિલાની સ્થિતિ ખરાબ હોવાથી એની હોસ્પિટલમાં અમે રિફર કરી હતી કારણ કે આઇસીયુની જરૂરી હતી. પરિવારજનોએ મને ધમકી આપી છે એટલે હાલમાં હોસ્પિટલ બંધ રાખી છે. આ મામલે બાપોદ પોલીસે મૃતક મહિલા અને બાળકના મોત અંગે અકસ્માતે મોત અંગેનો ગુન્હો નોંધ્યો છે. હાલમાં આ મામલે બાપોદ પોલીસ તપાસ કરી રહી છે. જો ડોકટરની બેદરકારી જણાવશે તો ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં બાળક અને મહિલાના મૃતદેહનું પેનલ PM કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 4:35 pm

સિલ્વર ઓક લો કોલેજે સફળ કારકિર્દી માટે વર્કશોપ યોજ્યો:ન્યૂઅન્સિસ ઑફ લીગલ ડ્રાફ્ટિંગ ફોર અ સક્સેસફુલ કરિયર વર્કશોપનું આયોજન

સિલ્વર ઓક યુનિવર્સિટી અંતર્ગત સિલ્વર ઓક લો કોલેજ દ્વારા ન્યૂઅન્સિસ ઑફ લીગલ ડ્રાફ્ટિંગ ફોર અ સક્સેસફુલ કરિયર વિષય પર એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ Willow ક્લબના સહયોગથી યોજાયો હતો, જે વિદ્યાર્થીઓમાં કાનૂની જાગૃતિ અને વ્યાવસાયિક વિકાસને પ્રોત્સાહન આપે છે. આ વર્કશોપમાં અનુભવી શૈક્ષણિક, POSH ટ્રેનર અને કાનૂની સલાહકાર ડૉ. કૃષ્ણા બિપિન મહેતા રિસોર્સ પર્સન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. મહેતાએ કાનૂની ડ્રાફ્ટિંગના મહત્વપૂર્ણ પાસાઓ પર પ્રકાશ પાડ્યો. તેમણે કાનૂની દસ્તાવેજોમાં ચોકસાઈ, સ્પષ્ટતા અને રચનાત્મકતાના મહત્વ વિશે વિગતવાર સમજણ આપી. તેમણે સમજાવ્યું કે કેવી રીતે અસરકારક ડ્રાફ્ટિંગ કૌશલ્ય એક સફળ કાનૂની કારકિર્દીનો પાયો બની શકે છે. વિદ્યાર્થીઓએ આ વર્કશોપમાં ઉત્સાહભેર ભાગ લીધો અને ચર્ચાઓ તેમજ પ્રાયોગિક પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે જોડાયા. આ ઇન્ટરેક્ટિવ સત્ર દ્વારા વિદ્યાર્થીઓને વાસ્તવિક જીવનમાં ઉપયોગી ડ્રાફ્ટિંગ ટેક્નિક્સ અને કાનૂની વ્યવસાયમાં આવશ્યક નૈતિક મૂલ્યોને ઊંડાણપૂર્વક સમજવાની તક મળી. આ વર્કશોપ વિદ્યાર્થીઓ માટે એક સમૃદ્ધ અનુભવ સાબિત થયો, જેનાથી તેઓ કાનૂની ભાષા, લેખનશૈલી અને ન્યાયની રચનામાં ભાષાના મહત્વને વધુ સારી રીતે સમજી શક્યા.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 4:09 pm

એચ.એ. કોલેજમાં વિકાસ સપ્તાહની ઉજવણી:NSS વિદ્યાર્થીઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા, વિવિધ કાર્યક્રમો યોજાયા

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સ દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે કોલેજના એન.એસ.એસ. (NSS) વિદ્યાર્થીઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. વિકાસ સપ્તાહ દરમિયાન ક્વિઝ કોમ્પિટિશન, નિબંધ સ્પર્ધા, જાગૃતિ સેમિનાર અને શપથ ગ્રહણ વિધિ જેવા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થી અવસ્થામાં સામાજિક કાર્યો કરવાની ટેવ પાડવી જોઈએ. યુવાનોના સર્વાંગી વિકાસ માટે શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે રમતગમત, સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં પણ જોડાવું જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે, આદર્શ અને તંદુરસ્ત સમાજની રચના કરવા માટે યુવાનોએ સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેવો જોઈએ. આ કાર્યક્રમમાં કોલેજના એન.એસ.એસ. કોઓર્ડિનેટર પ્રો. એચ.બી. ચૌધરી, પ્રો. ચેતન મેવાડા અને અન્ય અધ્યાપકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 4:05 pm

શ્રી કષ્ટભંજનદેવનો 177મો વાર્ષિક પાટોત્સવ:સાળંગપુરમાં ભવ્ય ઉજવણી, અનેક કાર્યક્રમો યોજાયા

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં પ.પૂ. શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો 177મો વાર્ષિક પાટોત્સવ તા. 11 ઓક્ટોબર, 2025(શનિવાર) ના રોજ ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે શ્રી કષ્ટભંજનદેવને ચાંદીનો મુકુટ-હાર, વૃંદાવનમાં તૈયાર થયેલા એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા તેમજ સેવંતીના ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. પાટોત્સવના દિવસે સવારે 5:30 કલાકે પ.પૂ. પુરાણી સ્વામી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ 7 કલાકે પ.પૂ. શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી દ્વારા શણગાર આરતી સંપન્ન થઈ હતી. શ્રી લાલજી મહારાજશ્રી દ્વારા અભિષેક અને અન્નકૂટ આરતી કરવામાં આવી હતી. બપોરના સમયે મારુતિ યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ 177મો વાર્ષિક પાટોત્સવ શ્રી સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી, વડતાલદેશ પીઠાધિપતિ પ.પૂ. ધ.ધુ. 1008આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ, પ.પૂ. ગુરુવર્ય શ્રી અથાણાવાળા સ્વામી અને પ.પૂ. સ.ગુ. પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામીના આશીર્વાદથી ઉજવાયો હતો. આ પ્રસંગ પ.પૂ. સ.ગુ. શ્રી ચૈતન્યસ્વરૂપદાસજી સ્વામી (લોજવાળા)ની સ્મૃતિમાં પણ હતો. આ સાથે મંદિર પાસે આવેલ પ્રસાદીની છત્રીનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. પાટોત્સવ નિમિત્તે પ.પૂ. સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)ના વક્તાપદે ત્રિદિનાત્મક “શ્રી હનુમંત ચરિત્ર કથા”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથા તા. 9 ઓક્ટોબર, 2025 (ગુરુવાર) થી તા. 11 ઓક્ટોબર, 2025 (શનિવાર) દરમિયાન સવારે 9 થી 11:30 કલાકે અને બપોરે 4 થી 6:30 કલાકે યોજાઈ હતી. તા. 9મીના ગુરુવારે બપોરે ચાર વાગે નીલકંઠ મહાદેવ મંદિરથી પોથીયાત્રા કાઢવામાં આવી હતી. સમગ્ર મંદિર પરિસરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ.પૂ. મહારાજશ્રી તેમજ સદ્ગુરુ સંતોના વરદ હસ્તે અભિષેક પાટોત્સવ અને મારુતિ યજ્ઞમાં શ્રીફળ હોમવાની વિધિ સંપન્ન થઈ હતી. દેશ-વિદેશથી પધારેલા લાખો શ્રદ્ધાળુ ભક્તોએ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દિવ્ય દર્શન, અભિષેક, અન્નકૂટ, યજ્ઞદર્શન, કથા શ્રવણ, બ્રહ્મનિષ્ઠ સંતોના દર્શન-આશીર્વચન તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 4:04 pm

વિદ્યાર્થીઓને નોનવેજ ભોજન પીરસાતા વિવાદ:ગોડાદરાની સરકારી સ્કૂલમાં ગેટ-ટુ ગેધરમાં પ્રિન્સિપાલે પાર્ટીનું આયોજન કર્યાની ચર્ચા; વીડિયો સામે આવ્યાં

સુરતના ગોડાદરા વિસ્તારમાં મહાનગરપાલિકાની સ્કૂલમાં નોનવેજની પાર્ટી કરવામાં આવી હતી. સરકારી સ્કૂલ નંબર 342/351માં ગેટ-ટુ ગેધર કરવામાં આવ્યું હતું, આ દરમિયાન વેજ ભોજન સાથે નોનવેજ ભોજન પણ પીરસવામાં આવ્યું હતું. આ આયોજન સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હોવાની વાત ચર્ચાઈ રહી છે. નોનવેજ પીરસવાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ...

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 4:01 pm

વલસાડમાં RPFનો 40મો સ્થાપના દિવસ ઉજવાશે:કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ મુખ્ય અતિથિ રહેશે

વલસાડ સ્થિત RPF પ્રાદેશિક તાલીમ કેન્દ્ર ખાતે 13 ઓક્ટોબર, 2025ના રોજ રેલવે સુરક્ષા દળ (RPF)નો 40મો સ્થાપના દિવસ ઉજવવામાં આવશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે રેલવે સુરક્ષા દળના મહાનિર્દેશક, રેલવે બોર્ડના અધિકારીઓ અને દેશભરના RPF પ્રતિનિધિઓ હાજર રહેશે. રેલવે મંત્રી પરેડનું નિરીક્ષણ કરશે અને સભાને સંબોધિત કરશે. પરેડમાં RPSF, મહિલા પ્લાટૂન, કમાન્ડો દળ, ડોગ સ્ક્વોડ, સેગવે પ્લાટૂન અને RPF બેન્ડનો સમાવેશ થશે. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમો અને મલ્લખંભ શો પણ યોજાશે. મંત્રી અશ્વિની વૈષ્ણવ પ્રશંસનીય સેવા આપનાર અધિકારીઓને પુરસ્કારોથી સન્માનિત કરશે. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું હતું કે, રેલવે સંપત્તિ અને મુસાફરોની સુરક્ષા માટે કાર્યરત RPFને 1985માં સંઘના સશસ્ત્ર દળ તરીકે માન્યતા આપવામાં આવી હતી. દર વર્ષે આ દિવસ RPFના જવાનોની બહાદુરી, સમર્પણ અને સેવાનો સન્માન કરે છે. RPF “યશો લભસ્વ”ના સૂત્ર સાથે દેશભરમાં 18 ઝોનમાં ફેલાયેલા આશરે 75,000 કર્મચારીઓ સાથે કાર્યરત છે. સમય સાથે RPFએ આધુનિક ટેક્નોલોજી અપનાવી છે, જેમાં CCTV સર્વેલન્સ, ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ (FRS) અને બોડી વોર્ન કેમેરા જેવી વ્યવસ્થાઓનો સમાવેશ થાય છે. મુસાફરોની સુરક્ષા માટે 'ઓપરેશન નન્હે ફરિશ્તે', 'મિશન જીવન રક્ષા', 'મેરી સહેલી' અને 'સુરિલક્ષા' જેવી અનેક પહેલો પણ સફળતાપૂર્વક અમલમાં છે.વલસાડમાં યોજાનાર આ રાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ RPFના જવાનોની દેશસેવા અને સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાને નવી ઊર્જા પ્રદાન કરશે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 4:00 pm

કિંગ ખાને રાતના 3 વાગ્યે અમદાવાદની સડક થંભાવી, VIDEO:ફેન્સને મળવા કાર પાસે ઉભા રહી માહોલ જમાવી દીધો, શાહરૂખ... શાહરૂખ... બૂમો પડી

અમદાવાદમાં શનિવારની સાંજ બોલિવૂડના નામ રહી હતી. 70માં ફિલ્મફેર એવોર્ડને લઈ સિતારાઓની ભીડ જામી હતી. જેમાં કિંગ ખાન પણ સામેલ થયો હતો. આ ભવ્ય એવોર્ડ સમારોહમાં શાહરૂખની દિલકશ અદાઓ જ નહીં પણ જોશભરી હોસ્ટિંગથી સૌ કોઈના મનમોહી લીધા હતા. તેની સાથે સાથે શાહરૂખે ચાહકોને પણ નિરાશ કર્યા નહીં અને અમદાવાદ શહેરના રસ્તા પર ઉતરીને મનમૂકીને ચાહકો સાથે એ પળોનો આનંદ માણ્યો હતો. સિગ્નેચર અંદાઝમાં મહેફીલ લૂંટી લીધીરસ્તા પર ચાહકોને મળવા સમયે શાહરૂખે સફેદ સ્વીલની ટી-શર્ટ અને બ્લુ ડેનિમ જીન્સમાં કાર પાસે ઉભા ઉભા સૌને મળ્યો હતો. સૌનું હાથ હલાવીને અભિવાદન ઝીલ્યું હતું. ત્યાર પછી દિલ પર હાથ રાખીને સિગ્નેચર અંદાઝમાં ઝૂકીને કહી રહ્યો છે કે, તમારો પ્રેમ જ મારી અસલી તાકાત છે. તેમજ ઘણાં ફેન્સ સાથે હાથ પણ મિલાવ્યો હતો. કારમાં બેસતા પહેલા પણ તેણે ભીડ તરફ હાથ લંબાવ્યોઆ વીડિયોમાં પણ તેમના પર ભરપૂર પ્રેમ વરસતો જોવા મળ્યો હતો.જ્યારે એક એક્સાઇટેડ ફેને તેને હાથ ખેંચવાની કોશિષ કરે છે ત્યારે શાહરૂખ તુરંત જ પોતાનો હાથ છોડાવી લે છે અને હસતા હસતા બીજીવાર હાથ હલાવીને આગળ વધી જાય છે. છેલ્લે છેલ્લે કારમાં બેસતા પહેલા પણ તેણે ભીડ તરફ હાથ લંબાવ્યો અને અભિવાદન કર્યું. જેનાથી દરેક ફેનનું દિલ જીતી લીધું. વીડિયોમાં ફેન્સે કોમેન્ટ્સનો વરસાદ કરી દીધોસોશિયલ મીડિયા પર આ વીડિયોમાં ફેન્સે કોમેન્ટ્સનો વરસાદ કરી દીધો હતો. એક ફેને લખ્યું કે, આ છે સાચો સુપરસ્ટાર, જે રાતના 3 વાગ્યે પણ ફેન્સને નિરાશ કરતો નથી. એક અન્ય યુઝરે લખ્યું કે, શાહરૂખ ખાન એ વ્યક્તિ છે જેની પાસે બધું જ છે, સ્ટારડમ, સાદગી અને દિલ. કાજોલ સાથે 'કુછ કુછ હોતા હૈ' પર ડાન્સ70મા ​'​ફિલ્મફેર એવોર્ડ્સ'માં બોલિવૂડના સૌથી લોકપ્રિય ઓનસ્ક્રીન કપલ, શાહરૂખ ખાન અને કાજોલે ફરી એકવાર સ્ટેજ પર પોતાની કેમિસ્ટ્રીથી બધાને મંત્રમુગ્ધ કરી દીધાં. બંનેએ તેમના પ્રખ્યાત ગીતો, 'સૂરજ હુઆ મદ્ધમ,' 'યે લડકા હૈ દીવાના' અને 'કુછ કુછ હોતા હૈ' પર ડાન્સ કર્યો. શાહરૂખ અને કાજોલ બંનેએ સ્ટેજ પર પર્ફોર્મ કર્યું. શાહરૂખ બ્લેક સૂટમાં ખૂબ જ સુંદર દેખાતો હતો, જ્યારે કાજોલ પણ બ્લેક સિક્વન સાડીમાં ખૂબ જ સુંદર દેખાતી હતી. આ કાર્યક્રમમાં શાહરૂખ, કાજોલ અને કરણ જોહર એકબીજાને ગળે મળ્યા. નોંધનીય છે કે, આ વખતે શાહરૂખ ખાને 17 વર્ષ પછી 'ફિલ્મફેર એવોર્ડ્સ' શો હોસ્ટ કર્યો હતો. તેની સાથે કરણ જોહર અને મનીષ પોલ પણ સ્ટેજ પર જોવા મળ્યા હતા. કાજોલને 'ફિલ્મફેર એવોર્ડ્સ 2025'માં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમના યોગદાન બદલ સન્માનિત કરવામાં આવી હતી. એવોર્ડ પ્રાપ્ત કર્યા પછી, કાજોલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, 'તે ભૂતકાળમાં હતું. આ વર્તમાન છે... અત્યાર સુધીનો શ્રેષ્ઠ થ્રોબેક છે! મારા 7મા 'બ્લેક લેડી એવોર્ડ' માટે ફિલ્મફેરનો આભાર.' અનુપમ ખેરે વીડિયો શેર કર્યોઆ દરમિયાન, અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો, જેમાં 90ના દાયકાના સુવર્ણ યુગને યાદ કરવામાં આવ્યો. તેમણે લખ્યું કે, 'તે સમય હતો, જ્યારે ભારતીય સિનેમા પ્રેમ અને એકતાનું પ્રતીક હતું.' કાજોલે સ્ટેજ પર કહ્યું કે, 'હું મારા મિત્રો સાથે આ સ્ટેજ પર ઉભી રહીને ખૂબ જ ભાવુક છું, 90નો દાયકો અમારા માટે ખૂબ જ ખાસ હતો.' ફિલ્મફેર એવોર્ડ્સ વિજેતાની યાદી

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 3:58 pm

મોટા હાથીધરામાં વિકાસ સપ્તાહની ઉજવણી:વિકાસ રથનું સ્વાગત, લાભાર્થીઓને સરકારી યોજનાનો લાભ મળ્યો

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની મોટા હાથીધરા ગ્રામ પંચાયત ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં વિકાસ રથનું સ્વાગત કરાયું અને વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમનો શુભારંભ સરપંચના હસ્તે વિકાસ રથને કુમકુમ તિલક કરીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ખેતીવાડી અને આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભોનું વિતરણ કરાયું. તાલુકા પંચાયત પ્રમુખે સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અને તેના લાભો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ગ્રામજનોને આ યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે પ્રોત્સાહિત કર્યા. કાર્યક્રમ દરમિયાન, વિકાસ રથ દ્વારા એક ફિલ્મ રજૂ કરવામાં આવી હતી, જેમાં દેશની વિકાસ ગાથા અને ભારતની પ્રગતિનું ચિત્રણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ આ ફિલ્મ નિહાળી હતી. કાર્યક્રમના અંતે, ગ્રામજનોએ એકસાથે મળીને વિકાસશીલ ભારતની પ્રતિજ્ઞા લીધી અને રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રતિબદ્ધતા દર્શાવી. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, ચેરમેન, સરપંચ, તલાટી સહિત અન્ય અધિકારીઓ અને ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમે ગ્રામજનોમાં વિકાસ પ્રત્યે ઉત્સાહ અને જાગૃતિ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 3:58 pm

સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજીનો 177મો પાટોત્સવ:દાદાને ચાંદીનો મુકુટ અને રાજોપચાર પૂજન કરાયું

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે 11 ઓક્ટોબર, 2025ના રોજ 177મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને ચાંદીનો મુકુટ, હાર, વૃંદાવનમાં તૈયાર થયેલા એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા અને સેવંતીના ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. પાટોત્સવના દિવસે સવારે 5:30 કલાકે પ.પૂ. પુરાણી સ્વામી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ 7:00 કલાકે પ.પૂ. શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી દ્વારા શણગાર આરતી કરાઈ હતી. શ્રી લાલજી મહારાજશ્રી દ્વારા અભિષેક અને અન્નકૂટ આરતી કરવામાં આવી હતી. બપોરે મારુતિ યજ્ઞની પૂર્ણાહુતિ થઈ હતી.સાંજે 4:30 કલાકે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય રાજોપચાર પૂજન યોજાયું હતું. આ પૂજન દરમિયાન દાદાને દિવ્ય શણગાર સાથે ફળ, પુષ્પ અને ડ્રાયફ્રુટ્સ અર્પણ કરવામાં આવ્યા હતા, તેમજ પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. સાંજે 7:00 કલાકે પ.પૂ. શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા દાદાની દિવ્ય સંધ્યા આરતી કરવામાં આવી હતી. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનો લાભ લીધો હતો.મહત્વપૂર્ણ છે કે સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને રાજોપચાર પૂજા નિયમિતપણે કરવામાં આવે છે. ભગવાન શ્રી રામના સમર્પિત સેવક હનુમાનજી મહારાજ એક રાજાની જેમ પોતાના ભક્તોના કષ્ટોને દૂર કરે છે. જે ઉપચારથી રાજા પ્રસન્ન થાય તેને રાજોપચાર પૂજા કહેવાય છે. શ્રી હનુમાનજી મહારાજ શાસ્ત્રોમાં પારંગત છે અને વેદોના રહસ્યો જાણે છે, તેથી રાજોપચાર પૂજામાં સૌપ્રથમ ચાર વેદના મંત્રો તેમને સમર્પિત થાય છે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 3:58 pm

કૃષિમંત્રીએ મોરકંડામાં ₹1.10 કરોડના પશુ દવાખાનાનું ખાતમુહૂર્ત કર્યું:જામનગરમાં 16 નવા પશુ દવાખાના બનશે; વિકાસ સપ્તાહની ઉજવણી

જામનગરમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌ સંવર્ધન, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજી પટેલે જામનગર તાલુકાના મોરકંડા ખાતે રૂ. 1.10 કરોડના ખર્ચે નિર્મિત થનાર અદ્યતન પશુ દવાખાનાનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, પશુ સારવારની સુવિધાઓ સ્થાનિક કક્ષાએ જ ઉપલબ્ધ થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા, ત્યારથી જ પશુધનની કાળજી લેવા માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી હતી. જેમાં પશુ આરોગ્ય મેળા, પશુ દવાખાના અને એનિમલ એમ્બ્યુલન્સ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. મંત્રીએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા એક હજાર નવા પશુ દવાખાના સ્થાપવાનો નિર્ણય લેવાયો છે. જેના ભાગરૂપે, જામનગર જિલ્લામાં પણ ચાલુ વર્ષે નવા 16 પશુ દવાખાનાઓનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે. મંત્રીએ ગ્રામજનો સાથે સંવાદ સાધતા જણાવ્યું કે, પશુપાલન એ માત્ર કૃષિનો સહાયક વ્યવસાય નથી, પરંતુ તે ખેડૂતોને નવી અને નિયમિત આવક પૂરી પાડીને આર્થિક રીતે સમૃદ્ધ થવામાં મદદરૂપ બને છે. તેમણે સેક્સ્ડ સિમેન ટેકનોલોજી અને દૂધ મંડળીઓ જેવી પશુપાલન સંબંધિત અગત્યની યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી ગ્રામજનોને તેનો મહત્તમ લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદ સભાયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, અગ્રણી વિનુભાઈ ભંડેરી, ગિરિરાજસિંહ જાડેજા, નાયબ પશુપાલન નિયામક તેજસ શુક્લ, સરપંચ ભનુભાઈ ચૌહાણ, ભરતભાઇ સોનાગરા, પ્રવીણભાઈ કટેશિયા સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 3:56 pm

મંત્રી મુળુ બેરાએ ઝાલાવાડ શોપિંગ ફેસ્ટિવલ ખુલ્લો મૂક્યો:ત્રિ-દિવસીય મેળો શરૂ, મંત્રીએ સ્વદેશી વસ્તુઓ ખરીદીને 'આત્મનિર્ભર ભારત'ના સંકલ્પમાં સહભાગી થવા અનુરોધ કર્યો

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા 'વિકાસ સપ્તાહ' અને 'શહેરી વિકાસ વર્ષ'ની ઉજવણી અંતર્ગત 'વોકલ ફોર લોકલ'ના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે 'ઝાલાવાડ શોપિંગ ફેસ્ટિવલ' સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 12, 13 અને 14 ઓક્ટોબર, 2025 દરમિયાન સુરેન્દ્રનગરના મેળાના મેદાન, પતરાવાળી ખાતે આ ત્રિ-દિવસીય ફેસ્ટિવલનો પ્રવાસનમંત્રી મુળુ બેરાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે 'અતુલ્ય વારસો'નું વિશેષ પ્રકાશન 'વારસે મળ્યું વઢવાણ'નું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. મંત્રી મુળુ બેરાએ લોકોને સ્વદેશી વસ્તુઓ ખરીદીને 'આત્મનિર્ભર ભારત'ના સંકલ્પમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર વિવિધ મેળાઓ અને માધ્યમો થકી કારીગરોને સ્ટોલ ફાળવી સ્થાનિક ઉત્પાદનોના વેચાણ માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે, જેથી સ્થાનિક કારીગરો પોતાની વસ્તુઓનું વેચાણ કરી શકે. મંત્રીએ લોકોને મેળાના 70થી વધુ સ્ટોલની મુલાકાત લેવા અને ખરીદી કરવા આહ્વાન કર્યું હતું, જેથી સ્થાનિક કારીગરોને રોજગારી આપવામાં મદદરૂપ થઈ શકાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત' બનાવવાના સંકલ્પનો ઉલ્લેખ કરતાં મંત્રીએ 'આત્મનિર્ભર ભારત'ની વિભાવના સમજાવી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આત્મનિર્ભર ભારત ત્યારે જ બને જ્યારે આપણે કોઈપણ વિદેશી વસ્તુ ન ખરીદવાનો સંકલ્પ લઈએ અને ઘરે ઘરે સ્વદેશીનો પ્રચાર કરીએ. રોજીંદા જીવનથી લઈને દરેક જરૂરિયાતમાં ભારતમાં બનેલી વસ્તુઓનો જ ઉપયોગ કરવો જોઈએ. તેમણે સુરેન્દ્રનગરના વણાટ કામ, માટીમાંથી બનતી વસ્તુઓ અને પ્રાકૃતિક ખેડૂતો દ્વારા તૈયાર કરાયેલા ઉત્પાદનોની પ્રશંસા કરી હતી. મંત્રીએ લોકોને મેસેજ, વોટ્સએપ કે સોશિયલ મીડિયા દ્વારા પરિચિતોને ઝાલાવાડ ફેસ્ટિવલની મુલાકાત લેવા અને ખરીદી કરવા પણ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું હતું કે, આ સ્વદેશી મેળો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત @2047'ના સ્વપ્નને સાકાર કરવા તરફનું એક પગલું છે. તેમણે ઉમેર્યું કે, આ કાર્યક્રમ 'આત્મનિર્ભર ભારત'ની સંકલ્પના માટે 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન આપે છે. મેળાનો મુખ્ય હેતુ જિલ્લાના કારીગરો દ્વારા બનાવેલી સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી માટે ઝાલાવાડવાસીઓને એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 3:52 pm

માનવ મહેરામણ ઉમટી પડયું:દિવાળીની ખરીદી કરવા રાજકોટનાં ધર્મેન્દ્ર રોડ, લખાજીરાજ રોડ પર લોકોની ભારે ભીડ, કપડાં, શૂઝ, દિવાળીના સુશોભન માટેની વસ્તુઓનું ધૂમ વેંચાણ

રંગીલુ ગણાતું રાજકોટ શહેર હાલ દિવાળીના તહેવારના રંગે રંગાઈ ગયું છે. તહેવારોને હજુ એકાદ સપ્તાહ જેવો સમય બાકી હોવા છતાં ખરીદીનો માહોલ પૂરબહારમાં ખીલ્યો છે, અને શહેરના મુખ્ય બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને લાખાજીરાજ બજારો અને ધર્મેન્દ્ર રોડ પર ગ્રાહકોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. આ બજારોમાં કપડાં, શૂઝ, દિવાળીના સુશોભન માટેની વસ્તુઓ, રંગોળીનો સામાન અને ગિફ્ટ આઇટમ જેવી વિવિધ વસ્તુઓ ઉપલબ્ધ છે. રવિવારનો દિવસ હોવાથી ખરીદી માટે નીકળેલા લોકોની સંખ્યામાં આજે મોટો વધારો જોવા મળ્યો હતો. શહેરના ઉપરાંત આસપાસના જિલ્લાઓમાંથી પણ લોકો અહીં ખરીદી કરવા માટે પહોંચ્યા હતા. મહિલાઓનો વિશેષ ઉત્સાહ: લાખાજીરાજ બજાર મહિલાઓ માટેની વિવિધ વસ્તુઓ માટે જાણીતું હોવાથી અહીં મહિલાઓની વિશેષ ભીડ જોવા મળી હતી. મહિલાઓ ખાસ કરીને ફેશન, તેમજ જ્વેલરી, અને ઘર સુશોભનની વસ્તુઓની ખરીદીમાં વ્યસ્ત જોવા મળી હતી. માનસી પરમાર નામના મહિલા ગ્રાહકે જણાવ્યું હતું કે, હું છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટ શહેરમાં રહુ છુ. અને દર સપ્તાહે અહીં ખરીદી કરવા આવું છું. જોકે આજે મોટી સંખ્યામાં દિવાળીની ખરીદી કરવા આવ્યા હોવાથી ખૂબ ટ્રાફિક છે. આ બજારમાં વ્યાજબી ભાવમાં સારી વસ્તુઓ મળતી હોવાથી લોકો પડાપડી કરી રહ્યા છે. મેં ટ્રેડિશનલ કપડાં-શૂઝ સહિતની ખરીદી કરી છે. રાજકોટની દિવાળીની વાત કંઈક અલગ જ હોય છે. લખાજીરાજ રોડ પર ક્યૂટ લેડી નામની દુકાન ધરાવતા હેતલ વોરાએ જણાવ્યું હતું કે, મારી લેડીઝ વેરની શોપ છે. જેમાં ડ્રેસ, કુર્તી, પેન્ટ વગેરે વસ્તુઓ અમે રાખીએ છીએ. દિવાળીનો માહોલ અત્યારે સારો છે અને વેપાર પણ સારો થવાની આશા છે. ગત દિવાળીની તુલનાએ આ વખતે હજુ ઠીકઠાક માહોલ છે. મારી શોપમાં લો રેન્જ અને હાઇ રેન્જ બંને પ્રકારના ગ્રાહકો ખરીદી માટે આવી રહ્યા છે. ગ્રાહકોનું બજેટ અલગ-અલગ હોય છે, જે મુજબ તેઓ ખરીદી કરે છે. કિંમતની રેન્જ અંગે તેમણે જણાવ્યું હતું કે, હાલ લેડીઝ વેરમાં કપડાંની કિંમતની રેન્જ આશરે રૂ. 1,500થી લઈ રૂ. 2,500-3,000 સુધીની હોય છે. મોટી સંખ્યામાં અહીં લોકો દિવાળીની ખરીદી કરવા માટે આવી રહ્યા છે. જોકે અહીં રસ્તા પર બેસતા પાથરણાવાળાઓને કારણે ખૂબ મુશ્કેલી પડે છે. આ કારણે અમારી શોપમાં આવતા જતા ગ્રાહકોને અવરજવરમાં મુશ્કેલી પડે છે. તેમણે પથારા બંધ થઈ જાય તે માટે તંત્ર પગલાં લે તેવી વિનંતી કરી છે. આમ થાય તો વેપાર વધુ સારો થવાની શક્યતા દર્શાવી હતી. બજારમાં રોનક અને વ્યવસ્થા: ધર્મેન્દ્ર રોડ અને લાખાજીરાજ રોડ પરની દુકાનોને પણ રોશની અને વિવિધ સુશોભનથી શણગારવામાં આવી છે. વેપારીઓ પણ ગ્રાહકોની માંગને પહોંચી વળવા માટે તૈયાર છે. વેપારીઓએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી ખરીદીનો ટ્રાફિક સતત વધી રહ્યો છે અને રવિવારની રજાના કારણે આજે સૌથી વધુ ગ્રાહકો જોવા મળી રહ્યા છે. દિવાળી સુધી અહીં બજારમાં ગ્રાહકોની સંખ્યામાં ઉતરોતર વધારો થવાની શક્યતા પણ વેઓરીઓ વ્યક્ત કરી રહ્યા છે. આર્થિક પ્રવૃત્તિમાં વધારો: દિવાળીની આ ધૂમ ખરીદી રાજકોટના સ્થાનિક અર્થતંત્રને પણ વેગ આપી રહી છે. વેપારીઓના ચહેરા પર સ્મિત છે કારણ કે ધંધો ખૂબ જ સારો ચાલી રહ્યો છે. એક અંદાજ મુજબ, આ વર્ષે દિવાળીના કારણે રાજકોટના બજારોમાં કરોડો રૂ. ની લેવડદેવડ થવાની શક્યતા છે. કાપડ, ઇલેક્ટ્રોનિક્સ અને ફર્નિચર જેવા સેક્ટરમાં લગભગ 40 ટકા સુધીનો ઉછાળો જોવા મળી રહ્યો છે. સમગ્ર રાજકોટ શહેરમાં દિવાળીની ખરીદીનો આ માહોલ આગામી દિવસોમાં વધુ જામશે, જે જોતા આ વર્ષે દિવાળીની ઉજવણી ખૂબ જ ધામધૂમથી થાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, આજનો રવિવાર દિવાળી પહેલાનો સૌથી મોટો ખરીદીનો દિવસ સાબિત થયો છે. શહેરના પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા બજાર વિસ્તારોમાં નિયંત્રણ જાળવવા માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી આ માનવ મહેરામણ વચ્ચે સામાન્ય લોકો સુરક્ષિત રીતે ખરીદી કરી શકે. અહીં બજારમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકો માટે વાહન પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે પણ વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જોકે બજારમાં ખિસ્સા કાતરુંઓ પણ હોવાથી પોલીસ સતત અહીં પેટ્રોલિંગ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 3:50 pm

સાબરમતી સેન્ટ જોસેફ સ્કૂલમાં 'ફન ફેર 2025' નું આયોજન:બાળકોએ વ્યવસાયિક કૌશલ્યો અને ટીમવર્ક શીખ્યા.

સાબરમતી વિસ્તારમાં આવેલી સેન્ટ જોસેફ હાયર સેકન્ડરી સ્કૂલ દ્વારા “ફન ફેર 2025” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને વ્યવસાયિક કૌશલ્યો શીખવવાનો હતો. આ કાર્યક્રમમાં બાળકોને વ્યવસાય કરવાની રીત શીખવવામાં આવી હતી. નાના સ્ટોલ ગોઠવીને, બાળકોએ વ્યવસાય કેવી રીતે ચલાવવો, ગ્રાહકો સાથે કેવી રીતે વાતચીત કરવી અને નફા-નુકસાનની ગણતરી કેવી રીતે કરવી તેની પ્રાયોગિક સમજ મેળવી. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, ટીમવર્ક અને વ્યવસાયિક દૃષ્ટિકોણ વિકસાવવાનો પ્રયાસ કરાયો. આ પ્રસંગે સંસ્થાના શ્રી હરિભાઈ અય્યર, કુશલ અય્યર અને ઈશાની અય્યર, શાળાના પ્રિન્સિપાલ શ્રીમતી ઉર્વી ભવસાર અને કૃષ્ણપ્રિયદાસ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 3:46 pm

ગૌ ભાગવત કથા માટે પાટણમાં રથયાત્રા શરૂ:હરિઓમ ગૌશાળાના લાભાર્થે 'સુરભી, કપિલા, દેવકી રથ'નું પ્રસ્થાન

હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલ, અનાવાડાના લાભાર્થે આગામી 1લી ડિસેમ્બરથી 7મી ડિસેમ્બર દરમિયાન યોજાનારી ભવ્ય ગૌ ભાગવત કથાના આમંત્રણ અર્થે પાટણના વાળીનાથ ચોક ખાતેથી ત્રણ પવિત્ર 'સુરભી રથ', 'કપિલા રથ' અને 'દેવકી રથ'નું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. નાની બાળકીઓએ કળશ ધારણ કરી અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ગૌ ભક્તોએ ગૌ માતાની આરતી ઉતારી આ માંગલિક કાર્યની શરૂઆત કરી હતી. મુકુંદ પ્રકાશજી મહારાજ દ્વારા શ્રીફળ વધેરીને પાટણ જિલ્લાના વિવિધ તાલુકાઓના ગામોમાં આ રથોનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ગૌ ભક્તોને આશિર્વચન આપતાં મુકુંદ પ્રકાશજી મહારાજે જણાવ્યું હતું કે, પાટણના આંગણે કાંચી પીઠના શંકરાચાર્ય સહિત અનેક સંતોના પગલાં પડવાથી આ પંથક ધન્ય બનશે. તેમણે કથાની તડામાર તૈયારીઓ ચાલી રહી હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. આ રથયાત્રાનો મુખ્ય ઉદ્દેશ ગૌ હોસ્પિટલના નિર્માણ કાર્યમાં સહયોગ મેળવવાનો અને સૌને કથાનું રસપાન કરવા માટે અનાવાડા ગૌશાળા ખાતે આમંત્રિત કરવાનો છે. રથયાત્રા દરમિયાન દરેક ગામમાં બેનરો, સ્ટિકરો અને પત્રિકાઓનું વિતરણ કરીને દરેક પરિવારને કથામાં આવવા માટે આમંત્રણ આપવામાં આવશે. પ્રત્યેક પરિવાર ગૌ ગ્રાસ સ્વરૂપે રૂપિયા પચાસનું દાન કરીને આ પવિત્ર કાર્યમાં સહયોગ આપશે. ગામડાઓમાં ગ્રામ સમિતિ બનાવી યુવાનો દ્વારા કથા સ્થળે લાવવા માટેનું આયોજન કરવામાં આવશે. રથયાત્રા દરમિયાન રાત્રે ભજન-કીર્તન તથા ગૌ ડાયરાનું પણ આયોજન થશે. કથાના મુખ્ય વક્તા રમેશભાઈ ઓઝાના આગમનને લઈને પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ઉંઝા તાલુકાના મિત્રો પણ ઉત્સાહભેર રથ લઈને ઉંઝાના ગામે-ગામ ભ્રમણ કરી રહ્યા છે. પાટણમાં યોજાયેલા માતૃશક્તિ સંમેલન બાદ ઉંઝામાં પણ મોટી સંખ્યામાં માતૃશક્તિની હાજરીમાં સફળ સંમેલન યોજાયું હતું. આવનાર સમયમાં સમગ્ર પાટણમાં બેનરો અને કમાનો દ્વારા અનાવાડા તરફના રસ્તા પર ભવ્ય સુશોભન કરવામાં આવશે. આગામી સમયમાં પાટણ શહેર સમિતિ દ્વારા શહેરને ત્રણ ભાગમાં વહેંચીને દરેક સોસાયટીમાં રથ ભ્રમણ કરશે. આ માટે મુખ્ય સમિતિ સહિત અન્ય ત્રણ સમિતિઓની રચના કરવામાં આવી છે, જેથી રથયાત્રા સમયે સમગ્ર પાટણ ગૌમય બની જાય. મુકુંદ પ્રકાશજી મહારાજે ગામોમાં તથા શહેરની સોસાયટીઓમાં જ્યારે રથ આવે ત્યારે સૌને સહકાર આપવા માટે ભાવભીની પ્રાર્થના કરી છે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 3:46 pm

ઊંઝા કોલેજના 470 વિદ્યાર્થીઓએ વાઇબ્રન્ટ ગુજરાત એક્ઝિબિશનની મુલાકાત લીધી:ગણપત યુનિવર્સિટી ખાતે પ્રાદેશિક પ્રદર્શનમાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન

શ્રી બી.પી.બ્રહ્મભટ્ટ આર્ટસ એન્ડ એમ.એચ. ગુરૂ કોમર્સ કોલેજ, ઊંઝા દ્વારા 11 ઓક્ટોબર, 2024, શનિવારના રોજ વિદ્યાર્થીઓ માટે વાઇબ્રન્ટ ગુજરાત રીજીઓનલ એક્સિબિશનની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણપત યુનિવર્સિટી ખાતે યોજાયેલા આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસ અને વૈશ્વિક વેપારની તકો વિશે જાગૃતિ લાવવાનો હતો. આ મુલાકાતમાં કોલેજના 470 વિદ્યાર્થીઓ સહિત તમામ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફે ભાગ લીધો હતો. સવારે 09:30 કલાકે કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રદર્શન સ્થળે જવા માટે 10 બસની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.શ્રી ઊંઝા કેળવણી મંડળના પ્રમુખશ્રી પ્રહલાભાઈ પટેલે લીલી ઝંડી ફરકાવીને બસોને કોલેજ પરિસરમાંથી રવાના કરી હતી. દરેક વિદ્યાર્થી અને સ્ટાફ સભ્યોએ ઉત્સાહપૂર્વક પ્રદર્શનના દરેક સ્ટોલની મુલાકાત લીધી અને જરૂરી માહિતી એકત્રિત કરી હતી.મુલાકાત પૂર્ણ થયા બાદ, તમામ બસો સુરક્ષિત રીતે કોલેજ પરત ફરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડૉ. રાકેશ રાવના નેતૃત્વ હેઠળ પ્રવાસ કમિટીના ડૉ. દશરથ કે. પટેલ અને ડૉ. દિવ્યા ડી. પટેલ દ્વારા કોલેજના સમગ્ર સ્ટાફના સહયોગથી કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપાલે સફળ સંચાલન અને સુચારુ વ્યવસ્થા બદલ તમામ સ્ટાફગણને અભિનંદન પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 3:44 pm

સરકારી કર્મચારી પર હુમલો કરનાર આરોપી ઝડપાયો:એસ.ઓ.જી.ની ટીમે સાડા ત્રણ વર્ષથી ફરાર આરોપીને પકડ્યો

સુરેન્દ્રનગર એસ.ઓ.જી.એ સરકારી કર્મચારી પર હુમલો કરવાના ગંભીર ગુનામાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી જગદીશ ચાવડાને ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડવામાં આવ્યો હતો. PSI આર.જે. ગોહિલને ચોક્કસ બાતમી મળી હતી કે, ધજાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો ફરાર આરોપી જગદીશ ચાવડા, રહે. કસવાળી, તા. સાયલા, હાલ કસવાળી ગામમાં હાજર છે. આ બાતમીના આધારે તપાસ કરતા, સદરહુ ઈસમ કસવાળી ગામમાંથી મળી આવ્યો હતો. પૂછપરછ કરતા તેણે પોતાનું નામ જગદીશભાઈ હમીરભાઈ ચાવડા (ઉં.વ. ૩૬, રહે. કસવાળી, તા. સાયલા, જિ. સુરેન્દ્રનગર) જણાવ્યું હતું. તેણે છેલ્લા સાડા ત્રણ વર્ષથી ઉપરોક્ત ગુનામાં ફરાર હોવાની કબૂલાત કરી હતી. એસ.ઓ.જી. દ્વારા આરોપીની કાયદેસર અટકાયત કરવામાં આવી હતી અને વધુ તપાસ માટે ધજાળા પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 3:44 pm

ધોરણ 12ના વિદ્યાર્થી જૈનિલ પારેખે 80+ ચિત્રો બનાવ્યા:યુટ્યુબ ચેનલ દ્વારા અન્ય વિદ્યાર્થીઓને પણ કરે છે મદદ

ગાંધીનગરના સરગાસણ સ્થિત ધી એમ્પીરિયલ ખાતે નિવાસ કરતો જૈનિલ રાકેશ પારેખ હાલ ધોરણ ૧૨માં અભ્યાસ કરી રહ્યો છે. અભ્યાસની સાથે જૈનિલે નાની ઉંમરમાં જ અનેક કૌશલ્યો કેળવ્યા છે. તેણે પ્રકૃતિ અને સમાજજીવનને લગતા ૮૦થી વધુ કેનવાસ પેઇન્ટિંગ્સ બનાવ્યા છે અને પોતાની એક યુટ્યુબ ચેનલ પણ શરૂ કરી છે. કોવિડ સમયથી લઈને અત્યાર સુધીમાં જૈનિલે આ ચિત્રો તૈયાર કર્યા છે. તેના પિતા, જેઓ વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે, તેઓ જૈનિલને પ્રોત્સાહન આપવા માટે પોતાના ખર્ચે આ ચિત્રો ખરીદે છે. આ આવકમાંથી જૈનિલ પોતાનો ખર્ચ કાઢી શકે છે અથવા બચત કરી શકે છે, જેનાથી તેને નાનપણથી જ આત્મનિર્ભર બનવાની તાલીમ મળી રહી છે. આ ઉપરાંત, જૈનિલે પોતાની યુટ્યુબ ચેનલ પણ બનાવી છે. આ ચેનલના માધ્યમથી તે ધોરણ ૧૨માં અભ્યાસ કરતા પોતાના મિત્રો સહિત અન્ય વિદ્યાર્થીઓને પણ ભણતરમાં મદદરૂપ થાય છે. આ રીતે, તે વ્યક્તિગત જવાબદારીની સાથે સામાજિક દાયિત્વ પણ નિભાવી રહ્યો છે. જૈનિલના પિતા જણાવે છે કે તેમના પિતાજી (જૈનિલના દાદા સ્વ. મંગળદાસ પારેખ, નિવૃત્ત ખેતીવાડી અધિકારી) એ ખૂબ મહેનત કરીને ગુજરાત સરકારના અધિકારી બન્યા હતા. તેમણે પણ પોતાના પુત્રને સીએ બનવા માટે સતત માર્ગદર્શન આપ્યું હતું. તેવી જ રીતે, તેઓ પણ પોતાના સંતાનને જીવનના કોઈપણ સંજોગોમાં સંઘર્ષો વચ્ચે પણ સ્વયં આગળ વધે તે દિશામાં ઘડતર કરી રહ્યા છે. તેમનો ધ્યેય છે કે જૈનિલ શિક્ષિતની સાથે દીક્ષિત પણ બને અને વ્યક્તિગત તેમજ સામાજિક જવાબદારીઓમાં સતત આગળ વધે. વર્તમાન સમયમાં જ્યારે મોટાભાગના બાળકો સોશિયલ મીડિયા અને મોબાઈલ તરફ વળ્યા છે, ત્યારે જૈનિલ ભણતરની સાથે વધારાની પ્રવૃત્તિઓ દ્વારા પોતાની કુશળતા વિકસાવી રહ્યો છે, જે તેમના પરિવાર માટે ગૌરવની બાબત છે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 3:42 pm

મોરબીમાં હડકાયા કૂતરાનો આતંક, CCTV:મહિલા-બાળક સહિત 8 લોકોને બચકા ભર્યા, વીડિયો વાયરલ; લોકોમાં ભયનો માહોલ

મોરબી શહેરના નવલખી રોડ વિસ્તારમાં આજે (12/10/25) ફરી એક વખત હડકાયા કૂતરાનો આતંક જોવા મળ્યો હતો. રામ ઔર શ્યામ સોસાયટીમાં કૂતરાએ બેફામ બનીને સોસાયટીની શેરીમાંથી પસાર થતાં આઠ જેટલા લોકોને બચકા ભરી લીધા હતા, જેમાં શેરીમાં સફાઈ કરતી મહિલા અને સાયકલ ચલાવતા બાળકનો પણ સમાવેશ થાય છે. આ ઘટના બાદ ઈજાગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. કૂતરાએ મચાવેલા આ આતંકની સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે. સાત મહિનામાં બીજી ઘટનાસ્થાનિકોના જણાવ્યા મુજબ, આ જ સોસાયટીમાં આશરે સાત મહિના પહેલાં પણ આવી જ રીતે કૂતરાએ આતંક મચાવ્યો હતો અને અનેક લોકોને બચકા ભર્યા હતા. જેમાં બપોરે પોણા બાર વાગ્યાના સુમારે એક કૂતરાએ બાઇક સવાર પર હુમલો કર્યો હતો, જેના કારણે બાઇક સવાર રસ્તા પર પટકાયો હતો. આ સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આજે ફરી તે જ વિસ્તારમાં ઘટના બનતાં લોકોમાં રોષઆજે ફરી તે જ વિસ્તારમાં ઘટના બનતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રખડતા કૂતરાઓના વધી રહેલા આતંકને પગલે હવે નગરપાલિકા દ્વારા આ રખડતા કૂતરાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી વિસ્તારના લોકો દ્વારા કરવામાં આવી રહી છે. રખડતા કૂતરાને તાત્કાલિક પકડવાની માગસ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, આ કૂતરો છેલ્લા કેટલાક સમયથી વિસ્તારમાં આતંક મચાવી રહ્યો છે અને અનેક રાહદારીઓને બચકા ભરી ચૂક્યો છે. લોકોને શંકા છે કે કૂતરો હડકવાથી પીડિત છે, જે ચિંતાનો વિષય બની ગયો છે. સ્થાનિક લોકોએ મહાનગરપાલિકા સમક્ષ આ રખડતા કૂતરાને તાત્કાલિક પકડવાની માંગણી કરી છે, જેથી કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય. મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં રખડતા કૂતરાઓના કારણે આવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે. આ સમસ્યા પર કાયમી ઉકેલ લાવવા માટે સ્થાનિક વહીવટી તંત્ર સમક્ષ માગ ઉઠી છે. મહાનગરપાલિકાની ટીમને તાત્કાલિક ધોરણે આ કૂતરાને પકડવા માટે કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. આ પણ વાંચો... ગોંડલમાં હડકાયા કૂતરાનો આતંક, એક દિવસમાં 22 લોકોને બચકા ભર્યા, 3 મહિનામાં 500થી વધુ લોકો ભોગ બન્યા​ તાલાલાના અકોલવાડીમાં હડકાયા કૂતરાનો આતંક, 15 લોકોને કરડ્યું

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 3:42 pm

સિલ્વર ઓક યુનિવર્સિટીમાં AI લેબ્સ '25 વર્કશોપ:જનરેટિવ AIમાં પ્રેક્ટિકલ માસ્ટરી માટે હેન્ડ્સ-ઓન તાલીમ અપાઈ

સિલ્વર ઓક યુનિવર્સિટીના ગૂગલ ડેવલોપર ગ્રુપ્સ ઓન કેમ્પસ અને IEEE સ્ટુડન્ટ બ્રાન્ચ દ્વારા ગૂગલ ક્લાઉડ AI લેબ્સ '25 નામે હેન્ડ્સ-ઓન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જેન AI એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત હેકટુસ્કિલ અને ગૂગલ ક્લાઉડના સહયોગથી યોજાયો હતો. બે સેશનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ એજેન્ટિક AI અને ગૂગલ ક્લાઉડ ટૂલ્સ વિશે વિગતવાર જ્ઞાન મેળવ્યું હતું.પ્રથમ સેશનમાં ગૂગલના કસ્ટમર એન્જીનીયર શ્રી આદિત્ય ઘણેકરે એજેન્ટિક સ્ટેક, એજેન્ટ ડેવલપમેન્ટ કીટ (ADK) અને વિવિધ એબ્સ્ટ્રેકશન સ્તરો અંગે સમજાવ્યું હતું. તેમણે ADK કેવી રીતે સ્માર્ટ એજન્ટ્સ બનાવવામાં અને ઓટોમેશન પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદ કરે છે તે પ્રેક્ટિકલ ઉદાહરણો સાથે દર્શાવ્યું હતું.બીજું સેશન ગૂગલ ક્લાઉડના ડેવલોપર એડવોકેટ શ્રી રોમિન ઇરાની દ્વારા લેવામાં આવ્યું હતું. આ સેશનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ MCP ટૂલ બાર અને એજેન્ટ ડેવલપમેન્ટ કીટનો ઉપયોગ કરીને ટ્રાવેલ એજન્ટ તૈયાર કરવાનું શીખ્યું હતું. તેમણે MCP ટૂલબોક્સ અને ગૂગલ ક્લાઉડ સાથે તેના સંકલનનું પ્રદર્શન કર્યું હતું.આ હેન્ડ્સ-ઓન વર્કશોપ દ્વારા વિદ્યાર્થીઓને ક્લાઉડ ટૂલ્સ પર પ્રેક્ટિકલ કામ કરવાનો અને રિયલ ટાઇમમાં AI એજન્ટ કેવી રીતે બનાવવામાં આવે છે તેનો અનુભવ મળ્યો હતો. બંને સેશનમાં સિદ્ધાંત અને પ્રયોગનું સુંદર સંયોજન જોવા મળ્યું, જેનાથી વિદ્યાર્થીઓ AI અને ક્લાઉડ ટેકનોલોજી વચ્ચેના વાસ્તવિક જોડાણને સમજી શક્યા.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 3:37 pm

નર્મદા ડેમ ઈતિહાસમાં પહેલીવાર 12 દિવસથી 100% છલોછલ:સરદાર સરોવરના પાવર હાઉસથી ₹3 કરોડની વીજળીનું ઉત્પાદન, ઉપરવાસમાંથી 1 લાખ ક્યૂસેક પાણીની આવક

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેના નિર્માણ બાદ ઇતિહાસમાં પ્રથમ વખત સતત 12 દિવસ સુધી તેની મહત્તમ સપાટી 138.68 મીટર પર 100 ટકા ભરાયેલો રહ્યો છે. આ એક અભૂતપૂર્વ ઘટના છે, જેણે ગુજરાત માટે જળસંચયનો નવો રેકોર્ડ સ્થાપ્યો છે. ઉપરવાસમાંથી 1 લાખ ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. ત્યારે લેવલ જાળવવા માટે ડેમનો એક દરવાજો 0.68 મીટર જેટલો ખુલ્લો રાખી પાણી છોડાઈ રહ્યું છે. જળસપાટી ઊંચી રહેતા ડેમનાં RBPH (રિવર બેડ પાવર હાઉસ) અને CHPH (કેનાલ હેડ પાવર હાઉસ) પાવર હાઉસ સંપૂર્ણ ક્ષમતાથી ધમધમી રહ્યાં છે, જેના થકી દૈનિક રૂ. 3 કરોડનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. જળસપાટી અને આવક-જાવકહાલમાં, નર્મદા ડેમની સપાટી તેની મહત્તમ સપાટી 138.68 મીટર પર જળવાઈ રહી છે. ડેમના ઉપરવાસમાંથી 1,00,752 ક્યૂસેક પાણીની પુષ્કળ આવક થઈ રહી છે, જેની સામે ડેમમાંથી 68,383 ક્યૂસેક પાણીની જાવક થઈ રહી છે. પાણીના નિયમન માટે હાલમાં ડેમનો એક દરવાજો 0.68 મીટર જેટલો ખુલ્લો રાખવામાં આવ્યો છે. મુખ્યમંત્રી દ્વારા વધામણાં 1 ઓક્ટોબરના રોજ નવરાત્રિ પર્વના છેલ્લા નોરતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મા નર્મદાના નીરના વધામણાં કરવામાં આવ્યા હતા. તેમણે નર્મદા ડેમ ખાતે પહોંચીને નર્મદાના નીરને નારિયેળ અને ચૂંદડી અર્પણ કરીને પૂજા-અર્ચના કરી હતી. આ સમયે, ડેમની જળસપાટી 138.68 મીટર નોંધાઈ હતી. અગાઉની સ્થિતિઅગાઉ, મુખ્યમંત્રીના આગમન સમયે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. તે સમયે, ડેમની સપાટી જાળવી રાખવા માટે ડેમના 5 ગેટ ખોલવામાં આવ્યા હતા અને તેમાંથી અંદાજે 60 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ ઇતિહાસમાં પ્રથમવારની સ્થિતિ ગુજરાતના ખેડૂતો અને ઉદ્યોગો માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ ચાલુ સિઝનમાં પ્રથમવાર તેની મહત્તમ પૂર્ણ સપાટીએ ભરાઈ ગયો છે. નવરાત્રી પર્વના શુભ દિવસોમાં, ખાસ કરીને નવમી નવરાત્રીએ ડેમ છલોછલ થતાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજપીપળા ખાતે હર્ષોલ્લાસ સાથે નર્મદા નીરના વધામણાં કર્યા હતા. મુખ્યમંત્રીએ નર્મદા મૈયાને દૂધ, શ્રીફળ અને પુષ્પ અર્પણ કરીને પૂજન કર્યું હતું. ડેમના 5 ગેટ ખોલવામાં આવ્યાં1 ઓક્ટોબરે સમગ્ર ગુજરાતને પીવા તથા સિંચાઇનું પાણી પુરૂ પાડતો નર્મદા ડેમ તેની 138.68 મીટરની પૂર્ણ સપાટીથી ભરાવામાં માત્ર 35 સેમી દૂર હતો. ઉપરવાસમાંથી સરદાર સરોવરમાં 47 હજાર કયુસેક પાણીની આવક થઇ રહી હતી. જેની સામે આરબીપીએચના ટર્બાઇન ચલાવી નદીમાં 42 હજાર કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું. કેનાલમાં છોડવામાં આવતાં પાણીની માત્રા 4 હજાર કયુસેક હતું. સરદાર સરોવરમાં જેટલું પાણી આવી રહ્યું હતું તેટલું પાણી છોડીને રૂલ લેવલ જાળવી રાખવામાં આવી રહ્યું હતું. ડેમના 5 ગેટ ખોલવામાં આવ્યા હતા અને તેમાંથી અંદાજે 60 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું. પાંચમી વાર પૂર્ણ સપાટીસરદાર સરોવર નર્મદા બંધની સપાટી 138.68 મીટરની પૂર્ણ કક્ષાએ પહોંચી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેમનું રાષ્ટ્રાર્પણ કર્યા બાદ આ પાંચમી વાર છે, જ્યારે જળ સપાટી પૂર્ણ કક્ષાએ પહોંચી હોય. ગત વર્ષે પણ પ્રથમ નવરાત્રિએ (01 ઓક્ટોબર, 2024) ડેમ છલોછલ થયો હતો. આ વર્ષે ડેમની કુલ જળસંગ્રહ ક્ષમતા 9460 મિલિયન ઘનમીટર જેટલી થઈ છે. મુખ્યમંત્રી સાથે આ અવસરે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ડો. દર્શના દેશમુખ, જસુ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી, ભાજપ જિલ્લા પ્રમુખ નીલ રાવ, જિલ્લા વહીવટી તંત્ર અને SOU સત્તામંડળના અધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતની પાણીની ચિંતા ટળીનર્મદા ડેમ વધુ એક વખત પૂર્ણ સપાટીથી ભરાવા તરફ આગળ વધી રહ્યો છે. નર્મદા ડેમ હાલ 98 ટકા જેટલો ભરાઇ ચુક્યો છે. આગામી એક વર્ષ માટે રાજ્યના ખેડૂતોને પીવાનું પાણી સિંચાઈનું પાણી આપવા સક્ષમ બની ગયો છે. એટલું જ નહિ રાજ્યની ઇન્ડસ્ટ્રીઝને પાણી પૂરું પાડવા અને રાજ્યની નદીઓ તળાવો ભરવા માટે પણ સક્ષમ બન્યો છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે સરદાર સરોવરમાં પાણીનો આવરો વધી જવાથી ડેમની સપાટી 138.33 મીટર સુધી પહોંચી ચૂકી હતી. આ વર્ષે નર્મદા બેસિન અને ડેમમાં થયેલા વ્યાપક વરસાદને કારણે પાણીની સારી આવક થઈ છે, જેના પરિણામે રાજ્યને મોટો લાભ થશે. ડેમમાં પાણીની વધુ ઉપલબ્ધિના કારણે રાજ્યના 10,014 ગામો, 183 શહેરો અને 7 મહાનગરપાલિકા વિસ્તારો એમ કુલ મળીને 4 કરોડ જેટલા લોકોને આગામી ઉનાળાની સીઝન સુધી પૂરતું પીવાનું પાણી આપી શકાશે. નર્મદા કમાન્ડ વિસ્તારના તમામ ખેડૂતોને રવી પાકની સિંચાઈ માટે પર્યાપ્ત પાણી મળશે. આ ઉપરાંત, સૌરાષ્ટ્રમાં સૌની યોજના તેમજ ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ અને અન્ય ઉદ્વહન યોજનાઓ માટે પણ નર્મદા જળ પૂરા પાડવામાં આવી રહ્યા છે. સરદાર સરોવર યોજના થકી 63 હજાર કિલોમીટર લંબાઇના નહેર માળખા દ્વારા કચ્છના રણપ્રદેશ સુધી નર્મદા જળ સિંચાઇ અને પીવાના ઉપયોગ માટે મળી રહ્યા છે, જે ગુજરાતમાં જળક્રાંતિ અને કૃષિક્રાંતિ માટે જીવાદોરી સમાન છે. દરવાજા લાગ્યા બાદ ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર થઇમધ્યપ્રદેશના ઈન્દીરાસાગર ડેમમાંથી 64,400 ક્યૂસેક અને ઓમકારેશ્વર ડેમમાંથી 60,117 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં રિવરબેડ પાવર હાઉસ 42,802 ક્યૂસેક પાણીનો વપરાશ કરવામાં આવી રહયો છે. 2017માં નર્મદા ડેમ ખાતે 30 દરવાજાઓ લગાવવામાં આવ્યા હતા. દરવાજા લાગ્યા બાદ ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર થઇ હતી. પાણીની આવક અને વીજ ઉત્પાદન30મી સપ્ટેમ્બરે ડેમ મહત્તમ સપાટીની નજીક પહોંચી ગયો હતો અને એની સામે પાણીની આવક 1 લાખ ક્યૂસેકથી વધુ હતી. ડેમના તમામ દરવાજા બંધ હતા. જો ઉપરવાસમાંથી પાણીની આવક જળવાઈ રહી હતી. નર્મદા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક 1,13,907 ક્યૂસેક નોંધાઈ રહી હતી. આ આવક મુખ્યત્વે મધ્યપ્રદેશના ડેમમાંથી આવી રહી છે. ઇન્દિરાસાગર ડેમમાંથી: 64,400 ક્યૂસેક અને ઓમકારેશ્વર ડેમમાંથી 60,117 ક્યૂસેકની જાવક થઈ રહી હતી. કાલે જળસપાટી 138.68 મીટરના સ્તરે હતી29મી સપ્ટેમ્બરે સાંજે નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર હતી, જેની સામે હાલમાં પાણીનો સ્તર 138.03 મીટર પર પહોંચી ગયો હતો. આનો અર્થ એ છે કે ડેમ એની ભવ્ય સપાટીથી માત્ર 0.65 મીટર (65 સેન્ટિમીટર) જ દૂર હતી. ડેમ 98% ભરાઈ જતાં એને તકનીકી રીતે છલોછલ ગણી શકાય. આ સિદ્ધિને પગલે નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા ડેમના તમામ દરવાજા આગામી ચોમાસાની સિઝન સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરદાર સરોવર ડેમમાં પાણીની આ વિપુલ આવકનું મુખ્ય કારણ મધ્યપ્રદેશમાં થયેલો ભારે વરસાદ અને ત્યાંના ડેમમાંથી છોડવામાં આવેલું પાણી છે. હાલ નર્મદા ડેમના ઉપરવાસમાંથી 1,13,405 ક્યૂસેક પાણીની આવક થઈ છે. આ પાણીમાં મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમમાંથી 54,180 ક્યૂસેક અને ઓમકારેશ્વર ડેમમાંથી 50,447 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જે સીધું સરદાર સરોવર ડેમમાં જમા થઈ રહ્યું છે. ગુજરાત માટે આગામી વર્ષની જળસુરક્ષા સુનિશ્ચિતનર્મદા ડેમનું છલોછલ ભરાવવું એ ગુજરાત માટે એક મોટી ઉપલબ્ધિ છે. હવે આગામી એક વર્ષ સુધી રાજ્યના નાગરિકોને પીવાના પાણીની કોઈ તંગી રહેશે નહીં. ખેડૂતો માટે સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ બનશે, જે કૃષિ ઉત્પાદનમાં વધારો કરશે. આ ઉપરાંત રાજ્યના ઉદ્યોગોને પણ પાણીનો અવિરત પુરવઠો મળશે, જેનાથી ઔદ્યોગિક વિકાસની ગતિ જળવાઈ રહેશે. એટલું જ નહીં, રાજ્યની અન્ય નદીઓ અને હજારો તળાવોને પણ નર્મદાના નીરથી ભરવામાં આવશે, જેનાથી ભૂગર્ભ જળ રિચાર્જ થશે અને પર્યાવરણીય સંતુલન જળવાશે. 5 સપ્ટેમ્બરે સિઝનમાં પહેલીવાર ડેમના 23 દરવાજા ખોલાયા હતાચાલુ સિઝનમાં 5 સપ્ટેમ્બરે પહેલીવાર સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ડેમને રંગબેરંગી લાઇટ્સથી સજાવવામાં આવ્યો હતો. તિરંગા લાઈટિંગથી સજ્જ ઓવરફ્લો ડેમનો નજારો જોઈને પ્રવાસીઓ મંત્રમુગ્ધ થયા હતા. રંગબેરંગી લાઈટ્સની સજાવટથી સરદાર સરોવર ખૂબ સુંદર દેખાઈ રહ્યો હતો. ડેમનો આ અદ્ભુત નજારો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. દર વર્ષે ડેમ સંપૂર્ણ ભરાતાં આ રીતે રંગબેરંગી લાઈટિંગથી એની સજાવટ કરવામાં આવે છે. સરદાર સરોવર ડેમ ગુજરાતની જીવાદોરીનર્મદા નદી પર સ્થિત સરદાર સરોવર ડેમ ગુજરાતના નર્મદા જિલ્લામાં કેવડિયા ગામ નજીક આવેલો છે. આ ડેમ માત્ર ગુજરાત માટે જ નહીં, પરંતુ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન માટે પણ પાણી અને વીજળીનો મુખ્ય સ્ત્રોત છે. ડેમના નિર્માણ અને ઇતિહાસ પર એક નજરસરદાર સરોવર ડેમની પાયાની શિલા 5 એપ્રિલ 1961ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા મૂકવામાં આવી હતી. 1979માં વર્લ્ડ બેંકના સહયોગથી આ પ્રોજેક્ટને આકાર આપવામાં આવ્યો હતો. 1987માં ડેમનું બાંધકામ શરૂ થયું, પરંતુ 1995માં નર્મદા બચાવો આંદોલનના કારણે સુપ્રીમ કોર્ટ દ્વારા આ પ્રોજેક્ટને સ્થગિત કરવામાં આવ્યો. 2000માં આ પ્રોજેક્ટને ફરીથી શરૂ કરવામાં આવ્યો અને 2017માં એની ઊંચાઈ 163 મીટર સુધી વધારવામાં આવી. 17 સપ્ટેમ્બર 2017ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ડેમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 3:30 pm

રાજકોટમાં બેથી વધુ ગુના આચરેલા 800 શખસ:દિવાળી પૂર્વે ગોંડલમાં ગ્રામ્ય SPએ કહ્યું- આજથી ગૂનો નહીં આચરો તેવી પ્રતિજ્ઞા લો, ગૂનો આચર્યો તો છોડવામાં નહીં આવે

રાજ્યના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા દિવાળી પૂર્વે ગુનેગારોની ઓળખ પરેડ દરમિયાન તેઓને સુધરી જવા માટે ચેતવણી આપવામાં આવી હતી. જેમાં બે કે તેનાથી વધુ ગુના આચરેલા 800 શખસ છે. જેમાંથી અગાઉ 400 બાદ આજે 250 શખસની ઓળખ પરેડ હતી. જેમાં કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને જો કાયદાનું ઉલ્લંઘન કર્યુ તો રાજકોટ બહાર તડીપાર થવાનો સમય આવશે તેવો કડક આદેશ અપાયો હતો. ગોંડલમાં 250 જેટલા શખસને એકત્ર કરી ઓળખ પરેડ કરવામાં આવી હતી. તેમાં ગ્રામ્ય SP વિજયસિંહ ગુર્જર દ્વારા ગુનેગારોને સુધરી જવા માટે ચેતવણી આપવામાં આવી હતી. જેમાં કહ્યું કે આજે પ્રતિજ્ઞા લો કે આજ પછી કોઈ ગુના કરવામાં આવશે નહીં અને જો થશે તો પછી પોલીસ તેને છોડશે નહીં. જો કોઈ ગુનેગાર સુધારવા માગતું હોય તો પોલીસ તેની સાથે છે. 250 જેટલા ગુનેગારોને એકત્ર કરાયારાજકોટ ગ્રામ્ય SP વિજયસિંહ ગુર્જરે જણાવ્યુ હતુ કે, દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો છે, ત્યારે આ દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન કથળે અને લોકો શાંતિપૂર્વક તહેવારોની ઉજવણી કરી શકે તે માટે પોલીસ એલર્ટ બની છે. આ દરમિયાન રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા 250 જેટલા ગુનેગારોની ઓળખ પરેડ કરવા માટે તેમને એકત્ર કરાયા હતા અને આ દરમિયાન તેઓને સુધરી જવા માટેની ચેતવણી આપવામાં આવી હતી. આ સાથે જ કાયદામાં રહેશો તો ફયદામાં રહેશો તેવો કડક સંદેશો પણ આપવામાં આવ્યો હતો. અગાઉ 400 ગુનેગારોની બેઠક કરવામાં આવી હતી અને ત્યારબાદ એક માસમાં આ પ્રકારના શખ્સોનું અટકાયતી પગલાંમાં પણ નામ આવ્યું નથી. ત્યારે ગૃહમંત્રી અને DGની સુચના અનુસાર આજે 250 જેટલા ગુનેગારોને એકત્ર કરાયા હતા અને તેઓને ગુનો ન આચરવાની શરતે સુધરવાની તક આપવામાં આવી હતી. કાયદા બહાર ગયા તો રાજકોટ બહાર જવાનો વારો આવશેઃ SPરાજકોટ જિલ્લા પોલીસ વડા દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખસોને ચેતવણી આપવામાં આવી હતી. જેમાં કાયદા માં રહેશો તો ફાયદામાં રહેશો તેવી વાત કર્યા બાદ એમ પણ જણાવ્યું હતું કે, કાયદા બહાર ગયા તો રાજકોટ બહાર જવાનો વારો આવશે. દિવાળી પર્વને લઇને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ હેતુથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા 250 શખસને એકત્ર કરી ઓળખ પરેડ કરવામાં આવી હતી. જેમાં તહેવારો દરમિયાન ગુનો આચર્યો તો ગયા જ સમજો એવો સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 3:25 pm

પાટણની ધારપુર હોસ્પિટલમાં દર્દીઓને એક્સપાયર દૂધ આપ્યું!:ગ્રુપમાં જ મેસેજ ફરતા થતાં અધિકારીઓ દોડતા થયા, એજન્સીની સામે કડક કાર્યવાહીની સૂચના

પાટણની ધારપુર હોસ્પિટલના ડાયટ કેન્ટીનનું સંચાલન કરતી ટચ સ્ટોન નામની એજન્સી દર્દીઓને 32 જેટલી દૂધની થેલીઓ એક્સપાયરી ડેટવાળી પધરાવી દીધી હોવાનો મેસેજ હોસ્પિટલના ગ્રુપમાં વહેતો થયો હતો. જેને પગલે દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. બીજી તરફ હોસ્પિટલ દ્વારા પણ આ મામલે કડક કર્યવાહીની સૂચના અપાઈ છે. સુપરવાઇઝરે દૂધ ચેક કર્યા વિના જ દર્દીઓને વિતરણ કર્યુંપાટણની ધારપુર હોસ્પિટલના ડાયટ કેન્ટીનનું સંચાલન કરતી ટચ સ્ટોન નામની એજન્સી દ્વારા ટીબી અને ગાયનેક વોર્ડના દર્દીઓને એક્સપાયરી ડેટવાળું અને ખાટું દૂધ પીવા માટે આપવામાં આવ્યું હતું. આ ઘટના આજે સવારે બની હતી. એજન્સીના સુપરવાઇઝરે દૂધ ચેક કર્યા વિના જ દર્દીઓને વિતરણ કરી દીધું હતું. જેના કારણે દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. એક્સપાયરી દૂધ અંગેના મેસેજો ઇન્ચાર્જના ગ્રુપમાં વહેતા થયા આ મામલાની ગંભીરતા ત્યારે વધી જ્યારે એક્સપાયરી દૂધ અંગેના મેસેજો ધારપુર ઇન્ચાર્જના વોટ્સએપ ગ્રુપમાં વહેતા થયા હતા. આ મેસેજ વાયરલ થતાં જ ધારપુરના અધિકારીઓ પણ દોડતા થયા હતા અને ઘટનાની તપાસ શરૂ કરી હતી. દૂધની 32 થેલી એક્સપાયરી ડેટવાળી હતીધારપુર હોસ્પિટલના આરએમઓ રમેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, 11, 12 અને 13 તારીખની દૂધની ભેગી થયેલી થેલીઓ કોન્ટ્રાકની એજન્સીએ આપી હશે, એમાં કેટલાક દર્દીઓને 11 તારીખની થેલી વાળું દૂધ આવ્યું હતું, એટલે એ ખાટું થઈ ગયું હશે. દૂધની 68 થેલીમાંથી 32 થેલી 11 તારીખની નીકળી હતી, બીજી 12 અને 13 તારીખની હતી. અમને જાણ થઈ એટલે અમે દર્દીનું ચેકઅપ કરાવ્યું હતું. કોઈને કઈ તકલીફ થઈ નથી. જે એજન્સી છે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીશું. ધારપુર હોસ્પિટલના રસોડામાં કામ કરનાર સંદીપ ભાઈએ જણાવ્યું હતું કે, બધું દૂધ મિક્સ થઈ ગયું હતું, એટલે કેટલાક દર્દીઓને 11 તારીખનું દૂધ અપાઈ ગયું હતું. કોન્ટ્રાક્ટર બીજા ભાઈ છે હું નથી. હું રસોડું સંભાળું છું. અહિં રોજ 150થી 200 જેટલી દૂધની થેલી જાય છે, જેમાં દસેક થેલી મિક્સ થઇ ગઈ હતી.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 3:14 pm

'કોઈએ ગેંગ ન બનાવવી,પોલીસ સૌથી મોટા બાપ છે':જૂનાગઢમાં 'ગુજસીટોક' હેઠળ પકડાયેલા 'બંગલા ગેંગ'ના મુખ્ય આરોપી કરસન મોરીનું રીકન્સ્ટ્રક્શન,અન્ય ઇસમો વિરુદ્ધ પણ તપાસ શરૂ

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા એક દાયકાથી હત્યા, લૂંટ, ખંડણી અને મારામારી જેવા ગંભીર ગુનાઓ આચરીને કુખ્યાત બનેલી 'બંગલા ગેંગ' પર જૂનાગઢ પોલીસે કાયદાનો સૌથી કડક હથિયાર ઉગામ્યું છે. પોલીસે આ ગેંગના પાંચ સભ્યો સામે ગુજસીટોક (ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ) હેઠળ ગુનો દાખલ કર્યો છે, જે જૂનાગઢ જિલ્લામાં સંગઠિત ગુનાખોરી બદલ દાખલ થયેલો આઠમો ગુનો છે.​ મુખ્ય આરોપી કરસન મોરીનું જાહેરમાં રીકન્સ્ટ્રક્શન​આ કાર્યવાહીના ભાગરૂપે આજે જૂનાગઢ પોલીસે ગુજસીટોકના મુખ્ય આરોપી અને બંગલા ગેંગના સૂત્રધાર કરસન ગલાભાઈ મોરી (રહે. ગાંધીગ્રામ) નું તેના જ વિસ્તારમાં જાહેર રોડ પર ગુનાહિત પ્રવૃત્તિનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસે આરોપીના ઘરે જઈ તેની રાણાક વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. પોલીસની આ સઘન કામગીરીથી આવારા તત્વોમાં પણ ફફડાટ ફેલાયો છે.​ લથડાતી અને લંગડાતી હાલતમાં ચાલી રહેલા આ આરોપીને જ્યારે પોલીસે કાયદાનું ભાન કરાવ્યું, ત્યારે તે બોલી ઉઠ્યો હતો કે, ભૂલ થઈ ગઈ, કોઈ ગેંગ બનાવવી નહીં, દુનિયામાં સૌથી મોટો બાપ પોલીસ છે આરોપીના આ શબ્દો પોલીસની કડક કાર્યવાહી અને કાયદાનો ડર આરોપીના ચહેરા પર સાફ દેખાતો હતો.​ પાંચ આરોપીઓ સામે ગુજસીટોક છેલ્લા દસ વર્ષથી સંગઠિત ગુનાખોરી આચરતી આ ગેંગના કુલ પાંચ સભ્યો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી થઈ છે. જેમાંથી મુખ્ય આરોપી કરસન મોરીની ધરપકડ કરવામાં આવી છે, જેને કોર્ટમાં રજૂ કરાતા ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે.​ ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ અને ગુનાની સંખ્યા • ​ભાવેશ ખોડાભાઈ બઢ (ફરાર): 14 ગુના • ​કરસન ગલાભાઈ મોરી (ઝડપાયો): 8 ગુના • ​નિલેશ ઉર્ફે નીલુ ખોડાભાઈ બઢ (ફરાર): 8 ગુના • ​જાદવ ઉર્ફે લાખો સાંગાભાઈ હૂણ (ફરાર): 9 ગુના • ​દિલીપ ઉર્ફે દિલા ભગાભાઈ છેલાણા (ફરાર): 7 ગુના​ પોલીસ દ્વારા સઘન તપાસ અને પ્રજાને અપીલ​ જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, 9 ઓક્ટોબરના રોજ આ પાંચ શખ્સો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરાયો હતો, જેની તપાસ હાલ ડીવાયએસપી જૂનાગઢ ગ્રામીણ કરી રહ્યા છે.​એસપી ઓડેદરાએ વધુમાં જણાવ્યું હતું કે, તપાસના ભાગરૂપે આરોપીઓના રહેઠાણ સહિત તમામ જગ્યાએ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું, જેમાં ગુનાને સમર્થન આપતા દસ્તાવેજો પંચનામું કરીને કબજે લેવામાં આવ્યા છે. આ પાંચ આરોપીઓની ગુનાહિત પ્રવૃત્તિઓમાં અન્ય કોણ કોણ સંકળાયેલું છે, કોણ આર્થિક સપોર્ટ કરે છે, બેંક એકાઉન્ટ અને ફાઇનાન્સિયલ ટ્રાન્જેક્શનની તમામ વિગતો આવરી લઈને પોલીસની તપાસ ચાલુ છે. સાથે જ, ધાકધમકી આપીને પડાવેલી મિલકતો અંગે પણ તપાસ ચાલી રહી છે.​ એસપી ઓડેદરાએ પ્રજાજનોને અપીલ કરી હતી કે, જો આ ગુનેગારોએ ક્યાંય પણ ધાકધમકી આપીને મિલકત પડાવી હોય કે હેરાન કર્યા હોય, તો નિર્ભય થઈને પોલીસ પાસે આવે. પોલીસ પીડિતોની સાથે રહીને પૂરેપૂરી કાયદેસર કાર્યવાહી કરશે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 3:13 pm

એસીબીની સફળ ટ્રેપ:નડિયાદ SC/ST સેલના ASI જયદીપસિંહ સોઢા પરમારને રૂપિયા 4 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા

ખેડા જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરોધી દળ (ACB) દ્વારા 44 દિવસના ગાળામાં બીજી સફળ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં નડિયાદ એસસી એસટી (SC/ST) સેલના આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) જયદીપસિંહ સોઢા પરમારને રૂપિયા 4 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે. લાંચ લેતા ASI ઝડપાયાનડિયાદ SC/ST સેલના ASI જયદીપસિંહ સોઢા પરમારે ફરિયાદીના પરિવારજન વિરુદ્ધ નોંધાયેલી એટ્રોસિટીની ફરિયાદમાં ધરપકડ ન કરવા, લોકઅપમાં ન બેસાડવા અને ઘરે જવા દેવા માટે રૂપિયા 4 લાખની લાંચની માંગણી કરી હતી. આ લાંચની રકમ લેતી વખતે ગાંધીનગર ACBની ટીમે નડિયાદમાં SC/ST સેલની કચેરીના કમ્પાઉન્ડમાં જ છટકું ગોઠવી ASI જયદીપસિંહને ઝડપી પાડ્યા હતા. 44 દિવસમાં બીજો બનાવઉલ્લેખનીય છે કે, ખેડા જિલ્લામાં 44 દિવસના ટૂંકા ગાળામાં ACBની આ બીજી સફળ કાર્યવાહી છે. આ પહેલાં ગત 28 ઓગસ્ટના રોજ લીંબાસી પોલીસ મથકના કોન્સ્ટેબલ પંકજ મેર પણ રૂપિયા 40 હજારની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયા હતા. ACBની આ સફળ કામગીરીથી સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર પર લગામ કસવાનો પ્રયાસ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 2:51 pm

ઘોઘંબામાં સગીરા પર સગીરે દુષ્કર્મ આચર્યું:અપહરણ કરી બે સગીરો જંગલમાં લઈ ગયા, એકે પહેરો આપ્યો અને બીજાએ ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા પંથકમાં સગીરા દુષ્કર્મની ઘટના બની છે. શાળાએ જઈ રહેલી સગીરાનું અપહરણ કરી બે સગીરો જંગલમાં લઈ ગયા હતા. જ્યાં એક સગીરે પહેરો આપ્યો અને બીજાએ ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. બંને સગીરો વિરુદ્ધ પોક્સો, અપહરણ અને બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. બાઈક પર અપહરણ કરી જંગલમાં લઈ ગયાઆ ઘટના 10 ઓક્ટોબરે સવારે 8:30 વાગ્યે બની છે. ધોરણ:10માં અભ્યાસ કરતી 14 વર્ષની સગીરા શાળાએ જઈ રહી હતી ત્યારે ધોરણ:12માં અભ્યાસ કરતા બે સગીરોએ બળજબરીપૂર્વક બાઈકમાં બેસાડી તેનું અપહરણ કર્યું હતું અને જંગલમાં લઈ ગયા હતા. એકે પહેરો આપ્યો, વારંવાર દુષ્કર્મ આચર્યુંજંગલમાં એક સગીરે પહેરો આપ્યો હતો અને બીજા સગીરે સગીરાને મારી નાખવાની ધમકી આપીને કપડાં ઉતરાવી જમીન પર સુવડાવી મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં એક સગીરે દુષ્કર્મ આચર્યું અને બીજાએ ગુનામાં તેની મદદ કરી છે. ઘટના બાદ બંને સગીરો ફરાર છે. બંને સગીરો પર પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયોસગીરાના માતા-પિતાની ફરિયાદના આધારે દામાવાવ પોલીસ સ્ટેશનમાં બંને સગીરો વિરુદ્ધ પોક્સો, અપહરણ અને બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે ફરાર બંને સગીરોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 2:51 pm

જૂનાગઢમાં શિક્ષક દંપતીએ 'ડબલ પેન્શન' કૌભાંડ આચર્યું:'ડબલ સર્વિસ બુક' બનાવી, ખોટા દસ્તાવેજોથી 10.75 લાખનો ચૂનો લગાવ્યો, બીજું પેન્શન મંજૂર કરાવવા જતાં ભાંડો ફૂટ્યો

જુનાગઢ જિલ્લામાં એક શિક્ષણ સંસ્થાના પૂર્વ આચાર્ય અને તેમના પત્ની (મંડળના પ્રમુખ) દ્વારા ડબલ પેન્શન અને નાણાકીય ગેરરીતિ આચરવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ દંપતીએ ગુનાહિત કાવતરું રચીને સરકારી નાણાંની 10,75,487ની ઉચાપત કરી હોવાની ફરિયાદ વિસાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ કેસમાં પતિ-પત્નીએ બે અલગ-અલગ નામ અને જન્મ તારીખવાળી 'સેવાપોથી' (સર્વિસ બુક) તૈયાર કરી, એક પેન્શન મંજૂર કરાવી લીધું હતું અને બીજું પેન્શન મંજૂર કરાવવાનો પ્રયાસ કરતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. શિક્ષણ નિરીક્ષકે ફરિયાદ નોંધાવીજુનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં ફરજ બજાવતા શિક્ષણ નિરીક્ષક (વર્ગ-2) મનીષાબેન ગોરધનભાઈ હીંગરાજીયા (ઉંમર 49) એ સરકાર તરફે ફરિયાદી બનીને વિસાવદર પોલીસમાં ગુનો નોંધાવ્યો છે. ફરિયાદમાં વેકરીયા ગામની ગ્રામ્ય વિકાસ કેળવણી મંડળ સંચાલિત માધ્યમિક શાળાના પૂર્વ આચાર્ય મિતેશગીરી ઉર્ફે મૂળરાજગીરી સેવાગીરી ગોસ્વામી અને તેમના પત્ની તથા મંડળના પ્રમુખ ઇલાબેન મિતેશગીરી ઉર્ફે મૂળરાજગીરી ગોસ્વામી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વિસાવદર પોલીસે BNSની કલમ 316(5), 336(2), 336(3), 340(2) અને 61(2) હેઠળ ગુનો નોંધી, પી.આઈ. એસ.એન. સોનારાની અધ્યક્ષતામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લાખોની ઉચાપતનો મામલો: ફરિયાદની મુખ્ય વિગતોફરિયાદમાં જણાવ્યા મુજબ, નિવૃત કર્મચારી મિતેશગીરી ઉર્ફે મૂળરાજગીરી ગોસ્વામીએ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને, સરકારી કચેરીના ખોટા સિક્કાઓ લગાવી, ખોટું રેકોર્ડ ઊભું કર્યું હતું. આ સમગ્ર ઘટનાક્રમમાં તેમની પત્ની, જે શાળા મંડળના ટ્રસ્ટી છે, તેમણે પણ સાથ આપ્યો હતો. જન્મ તારીખમાં છેડછાડ કરીને એક વર્ષ વધારે નોકરીમિતેશગીરી ઉર્ફે મૂળરાજગીરીની અસલ જન્મ તારીખ 19/06/1964 હતી (વેરાવળની મણીબેન છગનલાલ કોટક હાઈસ્કૂલના SLC મુજબ). આ તારીખ મુજબ તેમને સત્રના લાભ સાથે 30/06/2022ના રોજ નિવૃત્ત થવાનું હતું. જોકે, આરોપીએ 'મિતેશગીરી સેવાગીરી ગૌસ્વામી'ના નામે બનાવટી સેવાપોથીમાં જન્મ તારીખ 19/06/1965 દર્શાવી. આ ખોટા દસ્તાવેજોના આધારે તેમણે એક વર્ષ વધારે નોકરી કરી, પગાર મેળવ્યો અને 01/11/2023થી પેન્શન પણ મંજૂર કરાવી લીધું. આ પ્રકારે તેમણે સરકારના નાણાં ₹10,75,487ની ઉચાપત કરી. બીજા પેન્શન માટે 'મૂળરાજગીરી'ના નામે નવી સર્વિસ બુકપ્રથમ પેન્શન મંજૂર થયા બાદ, આ દંપતીએ બીજી વખત આર્થિક લાભો મેળવવા માટે નવું કાવતરું રચ્યું. આચાર્ય ગોસ્વામીએ પોતાના જૂના નામનો ફાયદો ઉઠાવી, 'શ્રી મૂળરાજગીરી સેવાગીરી ગૌસ્વામી' નામની બનાવટી સેવાપોથી ઊભી કરી. આ નવી સેવાપોથીમાં જન્મ તારીખ 19/12/1966 દર્શાવવામાં આવી હતી. આ પેન્શન કેસ ડિસેમ્બર 2024માં રજૂ કરવામાં આવ્યો હતો. આ બનાવટી દસ્તાવેજોમાં ઉચ્ચતર પગારના સ્ટીકરો અને નોંધો પર એકાઉન્ટ ઓફિસર, ગાંધીનગર તેમજ જિલ્લા શિક્ષણાધિકારી, જુનાગઢની બનાવટી સહીઓ કરેલી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું. શિક્ષણ વિભાગની સઘન તપાસજિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આ કૌભાંડમાં મંડળના પ્રમુખ ઇલાબેન ગોસ્વામી (આચાર્યના પત્ની)ની ભૂમિકા મહત્ત્વની છે, કારણ કે તમામ દસ્તાવેજો સાચવવાની અને કચેરીમાં રજૂ કરવાની જવાબદારી મંડળના પ્રમુખની હોય છે. ક્રોસ વેરિફિકેશનમાં પકડાયું કૌભાંડજ્યારે આચાર્ય દ્વારા 2024ના અંતમાં બીજો પેન્શન કેસ રજૂ કરવામાં આવ્યો, ત્યારે કચેરીના સ્ટાફને શંકા ગઈ. શિક્ષણ વિભાગે તુરંત જ 24/04/2025ના રોજ ફરિયાદી મનીષાબેન હીંગરાજીયાના અધ્યક્ષ સ્થાને અન્ય 6 સભ્યોની એક તપાસ કમિટીની રચના કરી. કમિટીની તપાસમાં સ્પષ્ટ થયું કે, જે વ્યક્તિનું પેન્શન 2023માં મંજૂર થઈ ચૂક્યું હોય, તે ફરીથી પેન્શન મેળવવા કેસ રજૂ કરી શકે નહીં. બંને સેવાપોથી અને દસ્તાવેજોની ચકાસણી કરતાં તે બનાવટી હોવાનું પુરવાર થયું. આ બંને દંપતીએ ખોટા દસ્તાવેજો ઊભા કરીને બે પેન્શન મંજૂર કરાવવા માટેની તમામ તૈયારીઓ કરી હતી. શિક્ષણ વિભાગને આ સમગ્ર મામલો ધ્યાને આવતા જ વર્ગ 2ના અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવા સૂચના આપવામાં આવી હતી. હાલમાં આચાર્યનું બીજું કોઈ પેન્શન મંજૂર થયું નથી. જોકે, પોલીસ તપાસમાં જે વ્યક્તિઓ દોષિત જણાશે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 2:48 pm

દિવાલ કુદી દીપડાએ મચાવ્યો આતંક:માંગરોળના લાલબાગ રહેણાંક વિસ્તારમાં દીપડાનો ભયાનક આંતક: દિવાલ કૂદી મકાનમાં ઘૂસી 3 બકરાનું મારણ, સમગ્ર ઘટના CCTV માં કેદ

માંગરોળ શહેરના લાલબાગ જેવા રહેણાંક વિસ્તારમાં દીપડાએ ભયાનક આંતક મચાવ્યો છે. શનિવારની રાત્રિના આશરે 02:00 વાગ્યાના સુમારે દીપડાએ ખેડૂત યુનુસ સુલેમાન પારેખના મકાન પાસેના વાડામાં દીવાલ ઠેકીને પ્રવેશ કર્યો હતો અને 3 બકરાનું મારણ કર્યું હતું. આ બનાવને કારણે રહેણાંક વિસ્તારમાં લોકોમાં ભારે ડરનો માહોલ ઊભો થયો છે.​ એક મહિનામાં 7 પશુઓનો શિકાર​ આ ઘટનાની સૌથી ચિંતાજનક બાબત એ છે કે, દીપડાએ એક જ ખેડૂતને વારંવાર નિશાન બનાવ્યો છે. અગાઉ એક મહિના પહેલા પણ આ જ ખેડૂતના 4 બકરાનું મારણ કરવામાં આવ્યું હતું, જેનાથી ખેડૂત યુનુસ પારેખને મોટું આર્થિક નુકસાન થયું હતું. આજરોજ ફરી 3 બકરાનું મારણ થતાં દીપડાનો આ આંતક હવે સ્થાનિક લોકોની સલામતી માટે મોટો ખતરો બની ગયો છે.​ CCTV કેમેરામાં મારણની ઘટના કેદ​ દીપડાના આ ભયાનક મારણની સમગ્ર ઘટના ખેડૂતના રહેણાંક વિસ્તારમાં લાગેલા CCTV કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ છે. આ ફૂટેજમાં દીપડો વંડી કૂદીને અંદર પ્રવેશતો અને મારણ કરીને નીકળી જતો સ્પષ્ટ જોઈ શકાય છે. આ ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર માંગરોળમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતાં જ ખેડૂતે તાત્કાલિક વોર્ડ-09ના સદસ્ય એડવોકેટ ઇરફાન કરૂડનો સંપર્ક કર્યો હતો. કાઉન્સિલર ઇરફાન કરૂડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સ્થિતિની ગંભીરતા જોતાં તુરંત ફોરેસ્ટ વિભાગનો સંપર્ક કર્યો હતો અને વન વિભાગની ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી.​ વન વિભાગે પાંજરું મૂકવાની ખાતરી આપી​ આ વિસ્તાર સંપૂર્ણપણે રહેણાંક વિસ્તાર હોવાથી રાત્રિના સમયે બાળકો અને વડીલોની સુરક્ષા જોખમાય તેવી ભીતિ છે. તેથી, સ્થાનિકો અને કાઉન્સિલર દ્વારા ફોરેસ્ટ વિભાગ સમક્ષ આ વિસ્તારમાં તાત્કાલિક પાંજરું મૂકવામાં આવે અને જલદીથી દીપડાને પાંજરે પૂરીને જંગલમાં મુક્ત કરવામાં આવે તેવી આક્રમક રજૂઆત કરવામાં આવી હતી.​ ફોરેસ્ટ વિભાગની ટીમે સ્થળ પર આવીને પંચનામું અને અન્ય કાર્યવાહી હાથ ધરી હતી, તેમજ લોકોના ડરને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં દીપડાને પાંજરે પૂરવા માટે પાંજરું મૂકવાની બાંહેધરી આપી હતી, જેથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 2:30 pm

દલિતો પર થતા અત્યાચાર મામલે NSUIનું વિરોધ પ્રદર્શન, VIDEO:અમદાવાદમાં મંજૂરી વગર રેલી યોજતા પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી, ઝપાઝપીના દૃશ્યો સર્જાયા

દેશમાં દલિત પર થઈ રહેલા અત્યાચાર મુદ્દે NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.ગુજરાત યુનિવર્સિટીથી રેલી યોજવામાં આવી હતી.રેલી ચાર રસ્તે પહોંચે તે અગાઉ જ પોલીસે રેલી અટકાઈ હતી.આ દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું જોકે પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી હતી કેટલાક કાર્યકરો રોડ પર બેસી જતા પોલીસ પગ ખેંચીને ગાડીમાં બેસાડ્યા હતા. પરવાનગી વગર યોજવામાં આવેલી રેલી પોલીસ અટકાવીગુજરાત NSUI ના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની આગેવાનીમાં ગુજરાત યુનિવર્સિટી ખાતેથી મોટી સંખ્યામાં કાર્યકરો સાથેની રેલી યોજાઈ હતી.દલિત પર થઈ રહેલા અત્યાચાર મુદ્દે રેલી યોજવામાં આવી હતી.ગુજરાત યુનિવર્સિટીથી નીકળીને રેલી દાદા સાહેબના પગલા તરફ જઈ રહી હતી.આ રેલી દાદા સાહેબના પગલા ચાર રસ્તા પહોંચે તે પહેલા જ પરવાનગી ન હોવાથી પોલીસે રેલી અટકાવી હતી.જોકે કાર્યકરો આગળ જવાનો પ્રયત્ન કરતા પોલીસે તમામને રોક્યા હતા. આ દરમિયાન પોલીસે અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.પોલીસ કાર્યકરોને ધક્કા મારીને પોલીસની ગાડી સુધી લઈ ગઈ હતી જે બાદ કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.આ દરમિયાન કેટલાક કાર્યકરો રોડ પર બેસી ગયા હતા જેથી પોલીસે કેટલાક કાર્યકરોને પગ ખેંચીને ગાડીમાં બેસાડ્યા હતા. અલગ અલગ ઘટનાઓને લઈ વિરોધ પ્રદર્શિત કરાયોNSUI ના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે દેશમાં દલિત જજ પર જૂતું ફેંક્યું આવ્યું,રાયબરેલીમાં દલિત યુવકની હત્યા કરવામાં આવી,દલિત IPS અધિકારીએ આત્મહત્યા કરી છે.આ તમામ ઘટનાનો મનુવાદી માનસિકતા ધરાવતા લોકોને કારણે બની છે જેથી અમે આ પ્રકારની માનસિકતા ધરાવતા લોકોનો વિરોધ કરીએ છીએ.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 2:27 pm

સરદાર પટેલ ક્રેડિટ સોસાયટીનો રજત જયંતિ મહોત્સવ:25 વર્ષ પૂર્ણ, CMએ કહ્યું-'રાજ્યમાં 90 હજાર સહકારી મંડળીઓમાં 1.71 કરોડથી વધુ સભાસદો'

વિજાપુર ખાતે ધી સરદાર પટેલ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડનો વર્ષ 2025નો રજત જયંતિ મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો હતો. આ ભવ્ય ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા હતા. સોસાયટીની સ્થાપના 9 ઓગસ્ટ 2000ના રોજ કરવામાં આવી હતી, અને તેના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજાપુરના પરા વિસ્તારમાં આવેલા કડવા પાટીદાર સમાજ સંકુલ, ગોવિંદપુરા રોડ ખાતે આ રજતજયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રજત જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણીવડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'સહકારથી સમૃદ્ધિ'ના મંત્રને ચરિતાર્થ કરતા ગુજરાતના સહકારી ક્ષેત્રની પ્રગતિને બિરદાવવાની સાથે આજે વિજાપુર ખાતે ધી સરદાર પટેલ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડના રજત જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહકાર ક્ષેત્રને એક નવી ઊંચાઈ પ્રદાન કરી છે, જેના પરિણામે આજે ગુજરાતમાં 90 હજાર જેટલી સહકારી મંડળીઓ કાર્યરત છે, જેમાં 1.71 કરોડથી વધુ સભાસદો જોડાયેલા છે. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, આજે જ્યારે ભારત સરદાર પટેલની 150મી જન્મ જયંતિ અને 2025ના વર્ષને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવી રહ્યું છે, ત્યારે આ રજત જયંતિ મહોત્સવની ઉજવણી એક સુભગ સંયોગ છે. ગુજરાતની સ્થાપના વખતે 13,959 સહકારી મંડળીઓ હતીમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સહકારી પ્રવૃત્તિને એક 'સ્પિરિટ' ગણાવતા જણાવ્યું હતું કે, સહકાર ક્ષેત્રે પ્રથમ રહેવાની પરંપરા ગુજરાતે 1889માં વડોદરામાં સહકારી મંડળીની સ્થાપના સાથે આજદિન સુધી જાળવી છે. તેમણે રાજ્યના સહકાર ક્ષેત્રના વિસ્તરણની માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતની સ્થાપના વખતે રાજ્યમાં 13,959 સહકારી મંડળીઓ હતી, જેની સંખ્યા આજે વધીને 90 હજાર જેટલી થઈ છે. ખાસ કરીને ક્રેડિટ સોસાયટીઓના મહત્ત્વ પર પ્રકાશ પાડતા તેમણે જણાવ્યું કે, આજે રાજ્યમાં 6400થી વધુ ક્રેડિટ સોસાયટીઓ કાર્યરત છે, જેનો 35 લાખથી વધુ સભાસદો લાભ લઈ રહ્યા છે. 1 કરોડ 11 લાખ જેટલા પોસ્ટકાર્ડ લખીને આભાર વ્યક્ત કર્યોમુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ'ના મંત્રને સહકાર અને સર્વોદયની ભાવના સાથે જોડ્યો હતો. તેમણે વડાપ્રધાનના 24 વર્ષના સુશાસનને બિરદાવવા થઈ રહેલી વિકાસ સપ્તાહની ઉજવણીનો ઉલ્લેખ કર્યો. તેમણે ઉમેર્યું હતું કે, આ સપ્તાહના ભાગરૂપે સહકાર ક્ષેત્રે શરૂ કરાયેલી 60 જેટલી પહેલોને બિરદાવવા સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ 1 કરોડ 11 લાખ જેટલા પોસ્ટકાર્ડ લખીને આભાર વ્યક્ત કર્યો છે. વિકસિત ભારતના નિર્માણની ભાવના સાથે આગળ વધવા આહવાનમુખ્યમંત્રીએ વડાપ્રધાનની જન ધન યોજનાને ઐતિહાસિક પગલું ગણાવ્યું, જેના થકી 56 કરોડ જેટલા જન ધન ખાતા ખોલાવવામાં આવ્યા અને છેવાડાના લોકો સુધી બેંકિંગ સેવાઓ પહોંચી જેનાથી લોકોને ડીબીટી મારફતે વિવિધ યોજનાઓનો લાભ સીધો તેમના બેંક ખાતામાં મળતો થયો. વિકસિત ભારતના નિર્માણના વડાપ્રધાનના 2047ના લક્ષ્યને સિદ્ધ કરવા માટે મુખ્યમંત્રીએ યુવાનોને રોજગારી અને મહિલાઓના સશક્તિકરણમાં સહકારી ક્ષેત્રના યોગદાનને મહત્ત્વપૂર્ણ ગણાવ્યું. તેમણે સૌને 'વોકલ ફોર લોકલ' અને 'લોકલ ટુ ગ્લોબલ'ના મંત્ર સાથે સ્વદેશી વસ્તુઓ અપનાવી ગુજરાતને આત્મનિર્ભર બનાવવા તેમજ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણની ભાવના સાથે આગળ વધવા આહવાન કર્યું.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 2:00 pm

બોટાદ ભાજપ પ્રમુખે આત્મનિર્ભર ભારત અભિયાનની રૂપરેખા આપી:આત્મનિર્ભર ભારત અભિયાન દેશના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું

બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલે ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. આ પરિષદ આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત યોજાઈ હતી, જેમાં તેમણે આગામી દિવસોમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોની રૂપરેખા અને કાર્યકરોની ભૂમિકા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. જિલ્લા પ્રમુખે જણાવ્યું કે, આત્મનિર્ભર ભારત અભિયાન દેશના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું છે. ભાજપના કાર્યકરો તેના આયોજન અને અમલમાં સક્રિયપણે જોડાઈ રહ્યા છે. તેમણે ઉમેર્યું કે બોટાદ જિલ્લાના વિવિધ ગામો અને શહેરોમાં આ અભિયાનને વધુ અસરકારક રીતે અમલમાં લાવવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.કાર્યકરોને અભિયાન સાથે જોડવા માટે વિવિધ માર્ગદર્શન શિબિરો, જનજાગૃતિ અભિયાન અને સ્થાનિક સ્તરે યોજાનારા કાર્યક્રમો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં આત્મનિર્ભર ભારત અભિયાનના ભીખુભા વાઘેલા, કનકબેન સાપરા, ગણપત કણઝરીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 1:46 pm

વલસાડના ગેરીયા મંડળે અંબાજી મંદિરમાં ગરબા રજૂ કર્યા:1962થી કાર્યરત મંડળમાં વૃદ્ધો, યુવાનો અને બાળકો જોડાયા

આસ્થાના ધામ શક્તિપીઠ અંબાજી મંદિરમાં રવિવારે એક વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાતના વલસાડથી આવેલા 'જયશ્રી અંબે ગેરીયા મંડળ'ના ભક્તોએ પરંપરાગત વેશભૂષામાં ચાચર ચોકમાં અદ્ભુત ગેરીયા નૃત્ય રજૂ કર્યું હતું. આ મંડળ દ્વારા માતાજીની આરાધનામાં સુંદર ગરબા કરાયા હતા.આ 'જયશ્રી અંબે ગેરીયા મંડળ' 1962થી કાર્યરત છે અને વર્ષોથી અલગ-અલગ શક્તિપીઠો પર ગરબા કરવા જાય છે. આ મંડળ વાપી અને વલસાડ જિલ્લાના ભાઈઓ દ્વારા સંચાલિત છે, જેઓ માતાજી પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરવા આ પરંપરા જાળવી રાખે છે. આ ગરબામાં વૃદ્ધો, યુવાનો અને બાળકો સહિત વિવિધ વયજૂથના લોકો ઉત્સાહભેર જોડાય છે. એન્જિનિયર અને પ્રોફેસર જેવા વિવિધ ક્ષેત્રના લોકો પણ પરંપરાગત પોશાક અને માથે ટોપી પહેરીને આ ગરબામાં ભાગ લે છે, જે આ મંડળની વિશેષતા છે.મંડળ દર એક વર્ષ છોડીને પાવાગઢ અને અંબાજી જેવા શક્તિપીઠો પર ગરબા કરવા આવે છે. આ અદભુત ગેરીયા ગરબા જોવા માટે ચાચર ચોકમાં મોટી સંખ્યામાં ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ પ્રદર્શનને માણ્યું હતું.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 1:41 pm

ક્વાર્ટરના લાભાર્થીઓને એલોટમેન્ટ લેટર અપાયા:વાંકાનેરમાં ધારાસભ્યની હાજરીમાં 24 વર્ષ સુશાસન-સેવાનો કાર્યક્રમ યોજાયો

વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત ૨૪ વર્ષ સુશાસન અને સેવાના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકા વિસ્તારમાં પૂર્ણ થયેલા કામોનું લોકાર્પણ અને નવા કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. કાર્યક્રમમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે નગરપાલિકાના પ્રમુખ ડીમ્પલબેન એચ. સોલંકી, ઉપપ્રમુખ હર્ષિત ડી. સોમાણી અને ચીફ ઓફિસર ગીરીશકુમાર આર. સરૈયા પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મંજૂર થયેલા ક્વાર્ટરના લાભાર્થીઓને આવાસોના એલોટમેન્ટ લેટર એનાયત કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 1:37 pm

સૈનિક સ્વાભિમાન યાત્રામાં એક જવાનની તબિયત લથડી:મોરબીમાં કોંગ્રેસ દ્વારા સ્વાગત દરમિયાન સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા આયોજિત સૈનિક સ્વાભિમાન યાત્રા મોરબી પહોંચી હતી. અહીં મોરબી જિલ્લા અને શહેર કોંગ્રેસની ટીમે સૈનિકોનું સ્વાગત અને સન્માન કર્યું હતું. જોકે, યાત્રામાં સામેલ એક સૈનિકની તબિયત લથડતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ યાત્રા મોરબીના શનાળા રોડ પર આવેલા ઉમિયા સર્કલ પાસે પહોંચી ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોર ચીખલીયા અને શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતના કોંગ્રેસના આગેવાનોએ સૈનિકોનું સ્વાગત અને સન્માન કર્યું હતું. સ્વાગત-સન્માનની કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન યાત્રા સાથે આવેલા એક સૈનિકની તબિયત અચાનક બગડી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં તેમનું બ્લડ પ્રેશર (બીપી) ઓછું થવાને કારણે તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 1:34 pm

CJI ગવઈ પર જૂતું ફેંકવા મામલે જુનાગઢમાં કોંગ્રેસની રેલી:વકીલના ફોટાને પગ નીચે રગદોળ્યો; કહ્યું- ભાજપના રાજમાં બંધારણ અને SC-ST સમાજ ખતરામાં

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ બી.આર. ગવઈ પર તાજેતરમાં એક વકીલ દ્વારા જૂતું ફેંકવામાં આવવાની ગંભીર ઘટનાને પગલે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. આ અશોભનીય કૃત્યની દેશભરમાં સખત ટીકા થઈ રહી છે, ત્યારે આજે જૂનાગઢ કોંગ્રેસ દ્વારા આ ઘટનાને લઈ વિરોધ નોંધાવાવમાં આવ્યો હતો. જૂનાગઢ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ કાળવા ચોક ખાતે રેલી યોજીને ધરણા પ્રદર્શન કર્યું હતું અને આ ઘટનાને વખોડી કાઢી હતી. ન્યાયાધીશ પર હુમલો એટલે બંધારણ પર હુમલોઃ અમિત પટેલકોંગ્રેસ આગેવાન અમિત પટેલે આ ઘટના અંગે પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજે જે રીતે દેશના સર્વોચ્ચ ન્યાયાધીશ (CJI) જસ્ટિસ ગવઈ પર એક એડવોકેટ દ્વારા જૂતું ફેંકીને ન્યાયાધીશનું અપમાન કરવામાં આવ્યું, તે દર્શાવે છે કે દેશમાં સુરક્ષા અને સન્માનનું સ્તર કેટલું નીચું ગયું છે. તેમણે ભાજપ પર સીધો પ્રહાર કરતા કહ્યું કે, ડો. બાબાસાહેબ આંબેડકરે જે સંવિધાન બનાવીને લોકોને રક્ષા, સુરક્ષા અને હકો આપ્યા છે, તેની સુરક્ષા ભંગ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી અને અમુક ચમરબંધીઓ કરી રહ્યા છે. જો ન્યાયાધીશ પર જ આ રીતે હુમલા થતા હોય, તો સ્પષ્ટ છે કે બંધારણ ખતરામાં છે. તેમણે બંધારણની સ્થાપનામાં ડો. આંબેડકર, સરદાર પટેલ અને જવાહરલાલ નેહરુના યોગદાનને યાદ કરીને બંધારણને બચાવવાની સૌની ફરજ હોવાનું જણાવ્યું હતું. અનુસૂચિત જાતિને વારંવાર હેરાન કરાય છેઃ વિનુ સિંગલજૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિના કોંગ્રેસના પ્રમુખ વિનુ સિંગલે આ ઘટનાને વખોડતા જણાવ્યું હતું કે, ચીફ જસ્ટિસ ગવઈ પર એડવોકેટ રાકેશ કિશોર દ્વારા જૂતું ફેંકવાની ઘટનાની જૂનાગઢ કોંગ્રેસ સખત નિંદા કરે છે. તેમણે તાજેતરમાં અનુસૂચિત જાતિ વિરુદ્ધ થયેલા અપમાનજનક નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો હતો. સિંગલે જણાવ્યું હતું કે, કોઈ વ્યક્તિએ એવું નિવેદન આપ્યું હતું કે, તમે જૂતા બનાવનારા છો અને વેચનારા છો. અમે તેમને કહેવા માગીએ છીએ કે, એ જૂતા પશુના ચામડામાંથી બને છે, તો અમને પશુની ખાલ ખેંચતા પણ આવડે છે અને તમારી ખાલ પણ ખેંચતા આવડે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જૂતા બનાવવા અને વેચવા અમારા બાપ-દાદાનો ધંધો છે અને તેમાં અમને ખોટી રીતે છંછેડવાની જરૂર નથી. તેમણે સમાજને ખોટી રીતે વારંવાર હેરાન-પરેશાન કરવા પર વિરોધ દર્શાવતા આ બાબતને ગેરબંધારણીય અને અશોભનીય ગણાવી હતી. સમગ્ર પ્રદર્શનમાં કોંગ્રેસના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને ન્યાયતંત્રના સન્માનની રક્ષા કરવાની અને અનુસૂચિત જાતિ પરના અત્યાચાર રોકવાની માંગણી કરી હતી.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 1:27 pm

હથિયાર સાથેની તસવીર ઇન્સ્ટાગ્રામ પર મૂકનાર ઝડપાયો:વાંકાનેરના યુવાન સામે ગુનો, હથિયાર આપનાર સહિત બેની ધરપકડ.

વાંકાનેરના સરતાનપર ગામે એક યુવાને હથિયારનો પરવાનો ન હોવા છતાં બાર બોરના હથિયાર સાથે ફોટો પડાવી તેને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને ફોટો પાડનાર તેમજ હથિયાર આપનાર એમ બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સરતાનપર ગામના ગોરધન વેરશી સરાવાડીયા (ઉં.વ. 23) પાસે હથિયારનો કોઈ પરવાનો ન હતો. તેમ છતાં તેણે અલૂભાઇ શામજી ઉડેચા (ઉં.વ. 55, રહે. સરતાનપર) ના લાઇસન્સવાળી બાર બોરના હથિયાર સાથે ફોટો પડાવ્યો હતો.આ ફોટો સોશિયલ મીડિયામાં ભય ઊભો કરવા અને વ્યુઝ-લાઇક્સ મેળવવાના આશયથી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો હતો. મોરબી જિલ્લા એસઓજી ટીમના ધ્યાન પર આ બાબત આવતા, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. ગોરધન અને હથિયાર આપનાર અલુભાઇ સામે આર્મ્સ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 1:17 pm

પ્રધાનમંત્રીએ 'ધન ધાન્ય', 'કઠોળ મિશન' યોજનાઓ લોન્ચ કરી:હાલોલમાં કૃષિ મંત્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીથી 'પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજના' અને 'આત્મનિર્ભર કઠોળ મિશન'નો દેશભરમાં શુભારંભ કરાવ્યો. આ યોજનાઓનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ પંચમહાલ જિલ્લાના હાલોલ સ્થિત ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીમાં યોજાયો હતો. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલય હેઠળની ૩૬ યોજનાઓનો સમન્વય કરાયો હતો. આ યોજના હેઠળ ગુજરાતના ચાર જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે પ્રાકૃતિક ખેતીના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે રાસાયણિક ખેતીના ગેરફાયદા અને તેનાથી આરોગ્ય તેમજ પર્યાવરણને થતા નુકસાન અંગે વિસ્તૃત ચર્ચા કરી. મંત્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના નેતૃત્વ હેઠળ, કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે કાર્યરત છે. આ પ્રયાસના ભાગરૂપે, પ્રાકૃતિક કૃષિ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી છે, જે શિક્ષણ દ્વારા પ્રાકૃતિક ખેતીનો પ્રચાર-પ્રસાર કરી રહી છે. મંત્રીએ પ્રાકૃતિક ખેતીના ફાયદા ગણાવ્યા, જેમાં ઉત્પાદનનો વધુ ભાવ, ગુણવત્તાયુક્ત ઉત્પાદન, સ્વાસ્થ્ય માટે લાભ અને જમીનની ફળદ્રુપતામાં વધારો શામેલ છે. તેમણે ખેડૂતોને ભાવિ પેઢી માટે આ પદ્ધતિ અપનાવવા અનુરોધ કર્યો. કાર્યક્રમ દરમિયાન, કૃષિ મંત્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે પંચમહાલ જિલ્લાના ખેડૂત લાભાર્થીઓને રાજ્યના કૃષિ વિભાગ દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરાયું. ઉપસ્થિત મહાનુભાવો અને ખેડૂતોએ દિલ્હીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનનું જીવંત પ્રસારણ પણ નિહાળ્યું. આ કાર્યક્રમમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ (કૃષિ) ડૉ. અંજુ શર્મા, રાજ્યના કૃષિ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓ, જિલ્લા કલેક્ટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી (ઈ.ચા.) ડી.એમ. દેસાઈ, આસિસ્ટન્ટ કલેક્ટર અને હાલોલ પ્રાંત અધિકારી ઈ. સુસ્મિતા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, યુનિવર્સિટીના પ્રાધ્યાપકો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 1:16 pm

કલોલની ઘરફોડ ગેંગ ઝડપાઈ:માણસાની મોબાઈલ દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો; ચાર ચોરની 1 લાખ 93 હજારના મુદ્દામાલ સાથે ધરપકડ

ગાંધીનગર જિલ્લાના માણસા શહેરમાં બારેક દિવસ અગાઉ થયેલી મોટી ઘરફોડ ચોરીનો ભેદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. પોલીસે માણસાની બ્રહ્માણી મોબાઈલની દુકાનમાંથી 1.79 લાખની કિંમતના અલગ અલગ કંપનીના 18 મોબાઇલ ફોનની ચોરીને અંજામ આપનાર ચાર ઈસમોને રૂ.1.93 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનાનો ભેદ ઉકેલી કાઢવામા આવ્યો છે. ચોરોએ દુકાનમાંથી 18 ફોનની ચોરી કરી હતીમાણસાની દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા પંકજકુમાર વિઠ્ઠલભાઈ પ્રજાપતિની બ્રહ્માણી મોબાઈલ નામની દુકાન શહેરના ઇટાદરા ચોકડી પર કોલેજ શોપિંગ સેન્ટરમાં આવેલી છે. બારેક દિવસ પહેલા વેપારી બપોરે દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. ત્યારબાદ રાત્રિના સમયે મોઢા પર બુકાની બાંધીને આવેલા અજાણ્યા ચોર ઇસમોએ દુકાનની પાછળ કોલેજના ખુલ્લા મેદાનમાંથી દુકાનની બારીના સળિયા કાપી પ્રવેશ કર્યો હતો. જુદી-જુદી કંપનીના 18 મોબાઇલ ફોનની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ મામલે માણસા પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો. પોલીસે આરોપીને ઝડપી પૂછપરછ કરીત્યારે જિલ્લામાં ઘરફોડ ચોરીના વધતા જતાં ગુનાઓ અટકાવવા માટે પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીએ LCB પીઆઇ ડી.બી.વાળાને ખાસ સૂચના આપી હતી. જેના પગલે LCBની ટીમો જિલ્લા વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, માણસાની બ્રહ્માણી મોબાઈલની દુકાનમાં ચોરી કરેલા મોબાઈલો સાથે ચાર ઇસમો જુના સ્પ્લેન્ડર બાઇક પર આદીવાડાથી ગાંધીનગર સેક્ટર-24 નજીક ઉભા છે. પોલીસે મુદ્દામાલ કબજે કર્યોજે બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ ચાર ઇસમો જગદિશ ગોપાલભાઇ રાવળ, મેહુલ સુરેશભાઇ દંતાણી,મહેન્દ્ર અશોકજી ઠાકોર અને નગીન ગાંડાભાઇ દંતાણીને (તમામ રહે. વેડા, તા.કલોલ) ઉઠાવી લઈ વૈજ્ઞાનિક ઢબે પૂછતાછ કરતાં ચારેય ભાંગી પડ્યા હતા અને ઉક્ત ચોરી કર્યાની કબૂલાત કરી હતી. જેમની પાસેથી પોલીસે ચોરી કરેલા 17 મોબાઈલ ફોન, બાઇક, અન્ય બે મોબાઇલ કુલ રૂ.1.93 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 1:10 pm

હળવદના સુસવાવ પાસે અકસ્માતમાં યુવાનનું મોત:કપડાં લેવા જઈ રહેલા 40 વર્ષીય રમેશ તોમરને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લીધો

હળવદ તાલુકાના સુસવાવ ગામના પાટીયા પાસેથી પગપાળા પસાર થઈ રહેલા એક યુવાનને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં યુવાનને ગંભીર ઈજાઓ થતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ગામે ચંદુલાલ પટેલની વાડીએ મજૂરી કામ કરતા રમેશભાઈ તોમર (ઉં.વ. 40) રણજીતગઢ ગામેથી પોતાના કપડાં લેવા માટે પગપાળા જઈ રહ્યા હતા. તે દરમિયાન સુસવાવ ગામના પાટીયા પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમને હડફેટે લીધા હતા, જેના કારણે તેમનું કરુણ મોત થયું હતું. આ બનાવ સંદર્ભે મૃતક રમેશભાઈના પિતરાઈ ભાઈ લાલસિંહ તોમર (ઉં.વ. 24) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. વાંકાનેરમાં વરલી જુગારના આંકડા લેતા બે પકડાયાવાંકાનેરમાં આવેલ ભાટિયા સોસાયટીના નાલા પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સદ્દામભાઈ અલાઉદ્દીનભાઈ અંસારી (29) રહે. ભાટિયા સોસાયટી વાંકાનેર તથા મુકેશભાઈ મનુભાઈ કુંખાણીયા (40) રહે. જીનપરા વાંકાનેર વાળા વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યા હોય પોલીસે 1380 રૂપિયાની રોકડ તથા 2500 ની કિંમતનો એક મોબાઈલ આમ કુલ મળીને 3880 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેઓની પાસેથી સંજય દેવકરણભાઈ ડેડાણીયા રહે. બ્રાહ્મણ શેરી જીનપરા વાંકાનેર વાળાનું નામ સામે આવ્યું હોય પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

દિવ્ય ભાસ્કર 12 Oct 2025 1:07 pm