SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
... ...View News by News Source

ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઊર્જા સવર્ધનમ પોર્ટલનું લોંચિંગ:ઊર્જા વિભાગ હવે ડેટા ડ્રિવન ફોરકાસ્ટ કરી ભવિષ્યનું આયોજન કરશે, તમામ માહિતી પોર્ટલ પર સ્ટોર થશે

રાજ્યના ઊર્જા વિભાગે ભવિષ્યમાં વીજ વપરાશના ડેટા આધારિત પૂર્વાનુમાન અને આયોજન વધુ મજબૂત બનાવવા માટે ‘ઊર્જા સંવર્ધનમ’ નામનું વેબપોર્ટલ લોન્ચ કર્યું છે. ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે આ પોર્ટલનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર લાંબા ગાળાના વિકાસ માટે ટેકનોલોજી આધારિત ઉપક્રમોને પ્રાધાન્ય આપી રહી છે. ગ્રાહકો માટે આ પોર્ટલ સેવા સુવિધાઓમાં પણ વધારો કરશેમંત્રીએ જણાવ્યું કે રાજ્યના તમામ સબ-સ્ટેશન, સબ-ડિવિઝન અને ગ્રાહકો સંબંધિત માહિતી આ પોર્ટલમાં સંકલિત કરવામાં આવી છે, જેના આધારે રિયલ-ટાઈમમાં ક્યાં વિસ્તારમાં કેટલો વીજ વપરાશ થાય છે, તેની ચોક્કસ માહિતી મળી શકશે. ગ્રાહકો માટે આ પોર્ટલ સેવા સુવિધાઓમાં પણ વધારો કરશે. ક્યારે લાઇન ટ્રિપ થઈ, કેટલો સમય શટડાઉન થયું, વીજ વપરાશ કેટલો છે એ માહિતી એક જ પ્લેટફોર્મ પર સહેલાઈથી ઉપલબ્ધ રહેશે. અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું આયોજન સરળ અને ઝડપી બની શકશે‘ઊર્જા સંવર્ધનમ’ પોર્ટલ ભવિષ્યના વીજ વપરાશના ડેટા ડ્રિવન ફોરકાસ્ટિંગમાં ચાવીરૂપ સાબિત થવાનું છે. સંગ્રહિત માહિતીના આધારે ક્યાં વિસ્તારમાં આવતા સમયમાં વધુ વીજ વપરાશ થશે તેનો અંદાજ લગાવી નવા સબ-સ્ટેશનો, લાઈનો અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું આયોજન સરળ અને ઝડપી બની શકશે. રાજ્ય સરકાર ભવિષ્યમાં વીજ ઉત્પાદનને પણ આ પોર્ટલ સાથે સાંકળવાની યોજના ધરાવે છે, જેથી ઊર્જા સ્ત્રોતો, વિતરણ અને મેનેજમેન્ટ વધુ સુદ્રઢ અને પારદર્શક બની શકે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 10:51 pm

રસ્તાના કામની ગુણવત્તા પર કમિશનરની થર્મોમીટર ટેસ્ટ:શાલિની અગ્રવાલે હોટ મિક્સ મટિરિયલનું ટેમ્પરેચર માપ્યું, 30 નવે. સુધીમાં તમામ રસ્તાનું પેચવર્ક પૂર્ણ કરવા આદેશ

સુરતમાં રસ્તાઓની બિસ્માર હાલતને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં માત્ર રસ્તાના મુદ્દે અચાનક વીડિયો કોન્ફરન્સિંગ યોજીને ગંભીરતા દાખવવા સૂચના આપી હતી. આ ઉચ્ચસ્તરીય આદેશ બાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. કમિશનર શાલિની અગ્રવાલે માત્ર આદેશો જારી કરવાને બદલે પોતે જ ફિલ્ડમાં ઊતરીને ગુણવત્તા નિયંત્રણનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેણે રસ્તાના રિકાર્પેટિંગ માટે આવેલું મટિરિયલ પૂરતું ગરમ છે કે કેમ, તે ચકાસવા માટે સ્થળ પર થર્મોમીટર મંગાવીને તાપમાન ચેક કર્યું હતું. મટિરિયલની ગુણવત્તા પર શંકા જતાં કમિશનરે થર્મોમીટર મંગાવ્યુંકમિશનર શાલિની અગ્રવાલે લિંબાયત ઝોન હેઠળના ટી.પી.-19 મગોબ વિસ્તારમાં મિડલ રિંગરોડથી માધવ બાગ સુધીના 12 મીટરના ટી.પી. રોડ પર ચાલી રહેલી રિકાર્પેટિંગની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન, હોટ મિક્સ પ્લાન્ટમાંથી ટ્રેક્ટરમાં આવેલાં મટિરિયલની ગુણવત્તા પર શંકા જતાં તેમણે તાત્કાલિક થર્મોમીટર મંગાવી લીધું હતું. આ થર્મોમીટરને તેમણે રસ્તાના રિપેરિંગ માટે વપરાતા હોટમિક્ષ મટિરિયલમાં મૂકીને તેનું તાપમાન માપ્યું હતું. ઠંડા મટિરિયલથી રસ્તો તૂટી જાય, ગરમથી બંધારણ મજબૂત બનેકમિશનરે તાપમાન શા માટે માપ્યું, તેનું તકનીકી કારણ રોડ રસ્તા વિભાગે સ્પષ્ટ કર્યું હતું. વિભાગના જણાવ્યા મુજબ, પ્લાન્ટમાંથી આવતા મટિરિયલનું તાપમાન ચકાસવું અનિવાર્ય છે. જો હોટ મિક્સ પ્લાન્ટમાંથી ઠંડુ મટિરિયલ જેમ કે રેતી, કપચી, ડામર, DBM કે BCM આવે, તો રિપેરિંગ યોગ્ય થઈ શકતું નથી. જો રિપેરિંગમાં ઠંડુ મટિરિયલ વપરાય તો રસ્તો લાંબો સમય ટકી શકતો નથી અને થોડા જ સમયમાં વાહનો પસાર થતાં રેતી અને કપચી છૂટી પડીને વેરવિખેર થઈ જાય છે. તેનાથી વિપરીત, ગરમ હોટ મિક્સ મટિરિયલથી રોલિંગ થવાથી રસ્તાનું બંધારણ મજબૂત બને છે, જેના કારણે રિકાર્પેટિંગ કરાયેલો રસ્તો લાંબો ટકે છે. કમિશનરે આ ટેક્નિકલ ધોરણ જાળવવા માટે જ થર્મોમીટરનો ઉપયોગ કર્યો હતો. 43 રસ્તાઓ તૈયાર કરવા 30 નવેમ્બર સુધીની ડેડલાઇન​​​​​​​મુખ્યમંત્રીની સૂચના બાદ કમિશનર શાલિની અગ્રવાલે તમામ ઝોનલ ચીફને તાત્કાલિક ફિલ્ડમાં ઉતરીને ઉબડખાબડ રસ્તાઓનો સર્વે કરવા અને રિપેરિંગ કરાવવા આદેશ આપ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે, શહેરમાં રિપેરિંગ હેઠળના તમામ રસ્તાઓ પર આગામી 30 નવેમ્બર સુધીમાં પેચવર્ક અને રિસરફેસની કામગીરી ફરજિયાતપણે પૂર્ણ કરવા કડક સૂચના આપવામાં આવી છે. કમિશનરના આદેશ બાદ શહેરમાં 43 જેટલા રસ્તાઓ પર યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ગુરુવાર સાંજ સુધીમાં આ 43 રસ્તાઓ પર કુલ 3129 મેટ્રિક ટન હોટમીક્ષ મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે 4124 મીટર લંબાઈ અને 21,408 ચો.મી. વિસ્તારને આવરી લે છે. અઠવા, લિંબાયત, વરાછા, ઉધના, સેન્ટ્રલ, રાંદેર અને કતારગામ સહિતના તમામ ઝોનમાં મેટ્રો રૂટના રસ્તાઓથી લઈને મુખ્ય માર્ગો પર રિપેરિંગ અને રિસરફેસની કામગીરી ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 10:39 pm

RRUમાં બીજી આંતરરાષ્ટ્રીય મૂટ કોર્ટ સ્પર્ધાની શરૂઆત:ભારત, નેપાળ, બાંગ્લાદેશ, ઇથોપિયાથી લઈને કેન્યા સુધીની 24થી વધુ ટીમોએ ભાગ લીધો

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) દ્વારા “આંતરરાષ્ટ્રીય કાયદો અને વૈશ્વિક સુરક્ષા” થીમ સાથે બીજી આંતરરાષ્ટ્રીય મૂટ કોર્ટ સ્પર્ધા-2025નું આજે ઉદ્ઘાટન થયું. ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળની રાષ્ટ્રીય મહત્વની આ યુનિવર્સિટી પરિસરમાં ભારત, નેપાળ, બાંગ્લાદેશ, ઇથોપિયાથી લઈને કેન્યા સુધીની 24થી વધુ ટીમોના 72 સહભાગીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત RRUની સ્કૂલ ઓફ ક્રિમિનલ લો એન્ડ મિલિટરી લો (SCLML) ના ઇન્ચાર્જ ડિરેક્ટર ડો. નિહારિકા રાયઝાદાના સ્વાગત સંબોધનથી થઈ હતી. તેમણે RRU દ્વારા વૈશ્વિક કાનૂની સમજણ, સરહદપાર સંવાદ અને યુવા કાયદાશિક્ષકોની ક્ષમતાવર્ધન માટે કરવામાં આવતા પ્રયાસોને રેખાંકિત કર્યા. આંતરરાષ્ટ્રીય કાયદાની વધતી જતી મહત્તા અંગે ભાર મૂક્યોRRU ના વાઇસ ચાન્સેલર પ્રો. (ડૉ.) બિમલ એન. પટેલે જણાવ્યું કે RRU આજના સમયમાં રાષ્ટ્રીય સુરક્ષા શિક્ષણનું વૈશ્વિક કેન્દ્ર બની રહ્યું છે. “કાયદો અને સુરક્ષા એકબીજાથી જોડાયેલા છે,” એમ જણાવતા તેમણે ઉમેર્યું કે યુનિવર્સિટીએ અત્યાર સુધી 82 દેશોના 1,500થી વધુ અધિકારીઓને તાલીમ આપી છે. સ્પર્ધાની શરુઆત ભારતના સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ બેલા એમ. ત્રિવેદી દ્વારા કરવામાં આવી હતી. તેમણે સમકાલીન વૈશ્વિક પડકારો જેમ કે આતંકવાદ, સાયબર હુમલા, ખોટી માહિતી, આબોહવા બદલાવને કારણે વિસ્થાપન અને મની લોન્ડરિંગ જેવા મુદ્દાઓ પર આંતરરાષ્ટ્રીય કાયદાની વધતી જતી મહત્તા અંગે ભાર મૂક્યો. ભાવિ નિર્માતાઓ માટે એક અનોખું શૈક્ષણિક મંચપૂર્વ ન્યાયાધીશ ત્રિવેદીએ સ્પર્ધાને “શ્રેષ્ઠ દલીલોનો વિજય થાય અને ન્યાયની ભાવના વિદ્યાર્થી જીવનનું માર્ગદર્શન કરે” એવી શુભકામનાઓ સાથે લૉન્ચ કરી. સ્પર્ધા દરમ્યાન આંતરરાષ્ટ્રીય કાયદાના નિષ્ણાતો, ન્યાયાધીશો અને પ્રેક્ટિશનરો દ્વારા વિવિધ રાઉન્ડ, મુખ્ય વ્યાખ્યાન અને માર્ગદર્શન સત્રો યોજાશે. કાર્યક્રમનો હેતુ વૈશ્વિક સુરક્ષા પડકારો સામે કાનૂની તર્ક અને સંશોધનની ક્ષમતાનું વિકાસ કરાવવાનો છે. RRUનું 2025નું આંતરરાષ્ટ્રીય મૂટ કોર્ટ પ્લેટફોર્મ માત્ર સ્પર્ધા નહીં પરંતુ વૈશ્વિક સુરક્ષાના ભાવિ નિર્માતાઓ માટે એક અનોખું શૈક્ષણિક મંચ બની રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 10:23 pm

વડોદરામાં 5 હજારના ઉઘરાણા માટે સ્પા કર્મી યુવતીનું અપહરણ:સહકર્મી અને તેના પતિએ નિર્વસ્ત્ર કરીને ઢોરમાર માર્યો, ઘરમાં ગોંધી રાખી; યુવતીએ 112 પર ફોન કરતા પોલીસ મદદ પહોંચી

વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેતી 30 વર્ષીય યુવતીને તેના સાથે સ્પામાં કામ કરતી અન્ય યુવતીને ઉછીના રૂપિયા 5 હજાર આપ્યાં હતા. વારંવાર માગણી કરવા છતાં આ યુવતી રૂપિયા આપતી ન હતી. આ દરમિયાન ગઇકાલે ગુરુવારે રાતે ફરીથી રૂપિયા માગતા તાંદલજાની યુવતી રોષે ભરાઇ હતી અને તેના પતિ સહિત અન્ય શખસ સાથે મળીને રૂપિયા આપવાનું બહાને કારમાં અપહરણ કરીને લઈ ગયા હતા અને સૂમસામ જગ્યા પર લઇ ગયા બાદ નિર્વસ્ત્રી કરીને ઢોર માર માર્યા બાદ તેના તાંદલજાના ઘરમાં ગોંધી રાખી હતી. સહકર્મીને 5 હજાર રુપિયા ઊછીના આપ્યા હતાઆ દરમિયાન યુવતી 112 પર કોલ કરતા પોલીસ મદદે પહોંચી ગઇ હતી અને તેની સારવાર કરાવી હતી. આ અંગે યુવતીએ સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દંપતી સહિતની ત્રિપુટી સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેતી 30 વર્ષીય યુવતી મમુતાઝ શેખ (નામ બદલેલ છે) સ્પામાં છેલ્લા ઘણા વર્ષોથી કામ કરી રહી હતી. દરમિયાન તેની સાથે તાંદલજા વિસ્તારમાં રહેતી અન્ય એક યુવતી જેનું નામ શિવાની મોરે પણ કામ કરતી હતી. આ દરમિયાન બંને યુવતીઓ એકબીજાના ઓળખતી હોવાના કારણે આ મુમતાઝે તેની મિત્રને 5 હજાર રૂપિયા ઉછીના માંગ્યાં હતા. જેની યુવતીએ તાંદલજાની યુવતી પાસે વારંવાર રૂપિયાની માગણી કરતી હતી અને આ યુવતી વાયદા આપતા રહેતી હતી. પરંતુ રૂપિયા આપવાનું નામ લેતી ન હતી. રુપિયા પરત માગતા પતિ સહિતના ત્રિપુટીએ ઢોર માર માર્યો હતોઆ દરમિયાન ફરીવાર 13 નવેમ્બરના રોજ મુમતાઝે પોતાના રૂપિયાની માગણી કરતા તાંદલજાની યુવતી રોષે ભરાઇ હતી અને રૂપિયા આપવા માટે તારા સ્પા પર આવુ છુ તેમ કહી ત્યાં તેના પતિ વક્કાર તથા ફરજીન નામના વ્યક્તિને સ્પા પર પહોંચી ગઇ તી. દસથી સાડા દસ વાગ્યાના આસપાસ યુવતીને ફોન કરીને નીચે રૂપિયા આપવાના બહાને બોલાવી હતી. જેવી યુવતી નીચે આવી હતી કે તેનું કારમાં અપહરણ કરીને પહેલા કોઇ સુમસામ જગ્યા પર લઇ ગયાં હતા. જ્યાં યુવતીને નિર્વસ્ત્ર કરીને યુવતી, તેના પતિ સહિતના ત્રિપુટીએ ઢોર માર માર્યો હતો. ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવીત્યારબાદ આ મુમતાઝને ફરી કારમાં બળજબરીપૂર્વક શિવાની મોરેએ તેના ઘરમાં ગોંધી રાખી હતી. આ દરમિયાન તક મળતા મુમતાઝે 112 નંબર ફોન કરીને પોતાની હકીકત જણાવી હતી. જેથી પોલીસ વાન તાત્કાલિ સ્થળ પર પહોંચી ગઇ હતી અને યુવતીને તેમના ચુંગાલમાં છોડાવી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી. ત્યારબાદ ગુનો સમા વિસ્તારમાં બન્યો હોય. મહિલાએ સમા પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેથી નિર્વસ્ત્રી કરીને મુમતાઝને માર મારનાર શિવાની મોરે, તેના પતિ વક્કાર સહિતની ત્રિપુટી સામે ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 10:08 pm

સાવજ દૂધ સંઘની પશુપાલકોને સહાય:જૂનાગઢ સાવજ દૂધ સંઘનો સંવેદનશીલ નિર્ણય: પશુ આહાર દાણની એક થેલી પર ₹125ની સબસીડીની જાહેરાત

થોડા સમય પહેલાં જ પડેલા કમોસમી વરસાદે જૂનાગઢ જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોની કમર તોડી નાખી છે. ખેતરોમાં વાવેલા પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે, ત્યારે સૌથી મોટી સમસ્યા પશુઓને ખવડાવવા માટેના ઘાસચારોની ઊભી થઈ છે, જે વરસાદના કારણે બચ્યો નથી. ખેડૂતો અને પશુપાલકોની આ માઠી દશાને ધ્યાનમાં રાખીને જૂનાગઢના સાવજ દૂધ સંઘ દ્વારા એક અત્યંત સંવેદનશીલ અને રાહતરૂપ નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત પશુપાલકોને દાણ (પશુ આહાર)ની ખરીદી પર સીધી સબસીડી આપવામાં આવશે. જૂનાગઢ સાવજ દૂધ સંઘના ચેરમેન દિનેશ ખટારીયાએ જણાવ્યું કે તાજેતરમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો અને પશુપાલકોને ન પૂરી શકાય તેવું મોટું નુકસાન થયું છે. ખેતરોમાં ઊભેલો પાક નાશ પામ્યો છે, જેના કારણે ખેડૂતો બેવડી મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ ખેતીમાંથી આવક બંધ થઈ છે, તો બીજી તરફ પશુઓ માટેના ઘાસચારાની તીવ્ર અછત ઊભી થઈ છે. પશુપાલકોની આ વિષમ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાવજ દૂધ સંઘના નિયામક મંડળે તાત્કાલિક બેઠક યોજી હતી. એક થેલી પર ₹125ની સબસીડીની જાહેરાત ખટારીયાએ જણાવ્યું કે, ગત નિયામક મંડળની બેઠકમાં તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરોએ સર્વસંમતિથી પશુપાલકોને આ કપરા સમયમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમાન રાહત આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ, જૂનાગઢ સાવજ દૂધ સંઘ દ્વારા વેચવામાં આવતા દાણ (પશુ આહાર)ના વેચાણ પર એક થેલી દીઠ ₹125ની સબસીડી એટલે કે સહાય આપવા માટેનું નિયામક મંડળે નક્કી કર્યું છે.આ સબસીડીનો સંપૂર્ણ ખર્ચ સાવજ દૂધ સંઘ પોતે ભોગવશે, જેનાથી પશુપાલકોને સીધી અને તાત્કાલિક રાહત મળી શકશે. એક મહિના સુધી પશુપાલકોને લાભ મળશે આ સહાય યોજનાની સમયમર્યાદા પણ જાહેર કરવામાં આવી છે. ચેરમેન દિનેશ ખટારીયાએ જણાવ્યું કે, આ સબસીડીનો લાભ તારીખ 13 નવેમ્બર, 2025 થી શરૂ કરીને તારીખ 12 ડિસેમ્બર, 2025 સુધી એટલે કે એક મહિના માટે તમામ ખેડૂતો અને પશુપાલકોને આપવામાં આવશે.પશુપાલકો આ સમયગાળા દરમિયાન પોતાની ગામની મંડળી કે અન્ય અધિકૃત જગ્યાએથી સાવજ દાણની ખરીદી કરશે, તો તેમને સીધી જ ₹125ની સબસીડી મળી જશે. દૂધ સંઘ દ્વારા આ નિર્ણય સાથે પશુપાલકોને વિનંતી કરવામાં આવી છે કે આ કપરા કાળમાં સાવજ દૂધ સંઘ હંમેશા પશુપાલકો અને ખેડૂતોની પડખે ઊભો છે અને આ સહાયનો મહત્તમ લાભ લેવો.સાવજ દૂધ સંઘનો આ નિર્ણય કમોસમી વરસાદથી ત્રસ્ત થયેલા જૂનાગઢ જિલ્લાના પશુપાલકો માટે એક રાહત લઈને આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 10:07 pm

ભાવનગર SPનો સતત બીજા દિવસે સપાટો:વધુ 3 પોલીસકર્મી સસ્પેન્ડ, બે દિવસમાં કુલ 10 પોલીસકર્મીઓ સામે પગલાં

ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક (SP) નિતેશ પાંડેએ સતત બીજા દિવસે કડક કાર્યવાહીનો દોર જાળવી રાખ્યો છે. આજે વધુ 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસમાં કુલ 10 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ભાવનગર પોલીસ બેડામાં ભારે ફફડાટ ફેલાયો છે. ​આજે સસ્પેન્ડ કરાયેલા 3 પોલીસકર્મીઓમાં બે મહિલા કોન્સ્ટેબલનો પણ સમાવેશ થાય છે. વોન્ટેડ આરોપીને પોતાના ઘરમાં આશરો (શરણ) આપવાના ગંભીર આરોપસર મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા અને ઉષા જાનીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ​ગઈકાલે 7 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા હતા ​ભાવનગરમાં છેલ્લા બે દિવસમાં કુલ 10 પોલીસકર્મીઓ સામે સસ્પેન્શનના પગલાં લેવાયા છે. ગઇકાલ અને આજના સસ્પેન્શનના પગલે ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT), પોલીસ હેડક્વાર્ટર, મોટર ટ્રાન્સપોર્ટ તેમજ જુદા જુદા શહેરના પોલીસ મથકોમાં ફરજ બજાવતા કુલ 7 જેટલા પોલીસ કર્મચારીઓને એકી સાથે સસ્પેન્ડ કરાયા હતા.SP નિતેશ પાંડે દ્વારા ફરજ પ્રત્યે બેદરકારી દાખવનારા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કડક વલણ અપનાવવામાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓના આ અચાનક અને આકરા પગલાંથી જિલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 10:04 pm

બિહારમાં NDAની જીતની બોટાદમાં ઉજવણી:બોટાદ ભાજપે ઢોલ-નગારા, આતશબાજી સાથે વિજયોત્સવ મનાવ્યો

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં NDAની જીત થતાં બોટાદ જિલ્લા ભાજપ દ્વારા વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યકરોએ બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આ જીતની ખુશી વ્યક્ત કરી હતી. આ ઉજવણી દરમિયાન ભાજપના કાર્યકરોએ ઢોલ-નગારા વગાડી, આતશબાજી કરીને અને મીઠાઈ વહેંચીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. આ વિજયોત્સવમાં બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ અંગેની માહિતી જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલે આપી હતી.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 9:51 pm

શહેર ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી:બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઐતિહાસિક વિજય પર કાર્યકર્તાઓએ આતશબાજી અને મોં મીઠા કરીને ઉજવણી કરી

આજરોજ ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક અને ભવ્ય વિજય થવા બદલ આતશબાજી અને મોઢું મીઠું કરી ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉત્સવનો માહોલ છવાયો હતોભાવનગર મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીને મળેલા ઐતિહાસિક અને ભવ્ય વિજયની ઉજવણી આજે ઘોઘા ગેટ ચોક ખાતે ઉત્સાહપૂર્વક કરવામાં આવી.કાર્યકર્તાઓએ આતશબાજી કરી અને મોઢું મીઠું કર્યું હતું. બિહારની જનતાએ આપેલા ભરપૂર સમર્થન બદલ ભાજપે આભાર વ્યક્ત કર્યો હતો અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સવનો માહોલ છવાયો હતો. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને શુભેચ્છકો પણ જોડાયા હતાઆ વિજયોત્સવમાં ધારાસભ્યો, વરિષ્ઠ આગેવાનો, પૂર્વ શહેર સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, શિક્ષણ સમિતિના સભ્યો સહિત તમામ મોર્ચા-સેલના હોદ્દેદારો, દરેક વોર્ડના પ્રમુખ અને મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત આઈ.ટી., મીડિયા અને સોશિયલ મીડિયા વિભાગના હોદ્દેદારો, નાગરિક બેંકના ડિરેક્ટરો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને શુભેચ્છકો પણ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 9:50 pm

PM મોદી કરશે 45 મિનિટ નિરીક્ષણ:ટ્રેન જેવા દેખાતા ટ્રેક મશીનમાં બેસીને પીએમ મોદી અંત્રોલી બુલેટ ટ્રેન સ્ટેશનનું ઇન્સ્પેક્શન કરશે

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી ગામે નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની પ્રગતિનું પ્રાથમિક તબક્કાનું ઇન્સ્પેક્શન હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં થવાનું છે. વડાપ્રધાન મોદી 15 નવેમ્બર, શનિવારે સવારે અંત્રોલી સ્ટેશનની મુલાકાત લેશે અને પ્રોજેક્ટની ગતિવિધિઓનું વ્યક્તિગત રીતે નિરીક્ષણ કરશે. વડાપ્રધાનની આ મહત્વપૂર્ણ મુલાકાતને લઈને સુરત જિલ્લા પ્રશાસન અને નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડની ટીમે તૈયારીઓને યુદ્ધના ધોરણે તેજ કરી દીધી છે. વડા પ્રધાનની મુલાકાત દરમિયાન અંત્રોલી ખાતેનું નિરીક્ષણ ખાસ રીતે આયોજિત કરવામાં આવ્યું છે. તેમને સ્ટેશન અને ટ્રેકના કામની પ્રગતિનું નિરીક્ષણ કરાવવા માટે એક ખાસ ટ્રેક મશીનનો ઉપયોગ કરવામાં આવશે. આ મશીન દેખાવમાં બુલેટ ટ્રેન જેવું જ હોય છે અને તેમાં આરામદાયક બેઠકોની વ્યવસ્થા હોય છે, જે વડા પ્રધાનને ટ્રેનના રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અનુભવ કરાવશે. નિરીક્ષણની અનોખી પદ્ધતિઅંત્રોલી બુલેટ ટ્રેન સ્ટેશનના બાંધકામના હાલના તબક્કે ટ્રેક લેયિંગ અને સ્ટ્રક્ચરલ વર્કનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ જ કારણોસર, વડા પ્રધાનની મુલાકાત દરમ્યાન પ્રોજેક્ટની પ્રગતિ દર્શાવવા માટે એક અનોખી પદ્ધતિ અપનાવવામાં આવી છે. વધારાનું મશીન ખાસ મંગાવાયુંપ્રોજેક્ટ પર હાલમાં એક ટ્રેક મશીન નિયમિતપણે કાર્યરત છે, પરંતુ વડા પ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને NHSRCL દ્વારા એક વધારાનું ટ્રેક મશીન ખાસ અત્રે લાવવામાં આવ્યું છે. આ ટ્રેક ઇન્સ્પેક્શન મશીન દેખાવમાં ભવિષ્યની બુલેટ ટ્રેન જેવું જ હોય છે, જે તેમાં બેસનારને પ્રોજેક્ટની વાસ્તવિકતાનો અનુભવ કરાવે છે. આ મશીનમાં બેસવા માટે આરામદાયક સીટ, કાચનાં વિશાળ વિંડોઝ તથા કંટ્રોલ પેનલ જેવી તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ ટ્રેક મશીનમાં બેસીને ટ્રેક અને સ્ટેશનના બાંધકામની વિગતવાર માહિતી મેળવશે. આ મશીનની સવારી દ્વારા તેમને બુલેટ ટ્રેનના રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિરીક્ષણ કરવાનો અવસર મળશે. પ્રોજેક્ટની પ્રગતિનું વિગતવાર નિરીક્ષણવડા પ્રધાન મોદીના આ નિરીક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રોજેક્ટની ગુણવત્તા અને નિર્ધારિત સમયમર્યાદામાં ચાલી રહેલા કામની સમીક્ષા કરવાનો છે. ટ્રેક મશીન મારફતે નિરીક્ષણ દરમિયાન નીચે મુજબની ટેક્નિકલ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, હાઇ સ્પીડ ટ્રેન માટે ટ્રેકની સપાટીની ચોકસાઈ સર્વોપરી છે. ટ્રેક મશીન દ્વારા તેની ચકાસણી કરવામાં આવશે. ઓવરહેડ ઇક્વિપમેન્ટ અને અન્ય ઇલેક્ટ્રિકલ કનેક્શનની પ્રગતિનું નિરીક્ષણ, સ્ટેશન કન્સ્ટ્રક્શન અને ટ્રેક લેયિંગ સંબંધિત ટેક્નિકલ ડીટેઈલની ચકાસણી થશે.વડા પ્રધાન સાથે આ ઇન્સ્પેક્શનમાં ભારતના બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સિનિયર અધિકારીઓ, ટેક્નિકલ એક્સપર્ટ્સ તથા પ્રોજેક્ટના ઈજનેરો પણ ઉપસ્થિત રહેશે, જેઓ તેમને બાંધકામની પ્રગતિ અંગે વિગતવાર માહિતી અને પ્રેઝન્ટેશન આપશે. અંત્રોલીમાં 'નો ફ્લાય ઝોન' જાહેરવડાપ્રધાનની મુલાકાતને અનુલક્ષીને સુરક્ષા વ્યવસ્થાને ચુસ્ત બનાવવા માટે વિશેષ આદેશો જારી કરવામાં આવ્યા છે. સુરતના રેસિડેન્ટ કલેક્ટર વિજય રબારી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે, 15 નવેમ્બરના રોજ અંત્રોલી ખાતેના બુલેટ ટ્રેન સ્ટેશન અને કોન્વોય રૂટ વિસ્તારને 'નો ડ્રોન ફ્લાય ઝોન' જાહેર કરવામાં આવ્યો છે.આ જાહેરનામા મુજબ, પોલીસ વિભાગના ડ્રોન સિવાય અન્ય કોઈ પણ પ્રકારના ડ્રોન કે અનમેન્ડ એરિયલ વ્હીકલ ઉડાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારમાં સઘન ચકાસણી અને સર્વેલન્સ શરૂ કરી દીધું છે જેથી વડા પ્રધાનની મુલાકાત દરમિયાન કોઈ પણ પ્રકારનું સુરક્ષા વિઘ્ન ન ઊભું થાય. સમગ્ર સુરક્ષા તંત્ર એલર્ટ મોડ પર છે. ટ્રાફિકને વૈકલ્પિક રૂટ પર ડાયવર્ટ કરવામાં આવ્યોવડા પ્રધાન નરેન્દ્ર મોદીના આવતીકાલે શનિવારે અંત્રોલી બુલેટ ટ્રેન સ્ટેશન ખાતે યોજાનાર કાર્યક્રમને પગલે, સુરત પોલીસે એરપોર્ટથી અંત્રોલી સુધીના સમગ્ર રૂટ પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવીને શહેરના ટ્રાફિક વ્યવસ્થામાં મોટા ફેરફારો કર્યા છે. આ સુરક્ષાના ભાગરૂપે, શહેરના વિવિધ વિસ્તારોમાં આવતા-જતા કુલ 13 માર્ગો પર પ્રતિબંધ મૂકીને ટ્રાફિકને વૈકલ્પિક રૂટ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. સ્થાનિક ટ્રાફિક માટે સુરત-કડોદરા રોડ (આઉટર રીંગરોડથી અંત્રોલી) સંપૂર્ણપણે બંધ રહેશે. આ માર્ગના વાહનોને આઉટર રીંગરોડ થઈને એન્થમ સર્કલ અને પુણા કેનાલ રોડ પર વાળવામાં આવશે. આ ઉપરાંત, સાઈ પોઈન્ટ, દેવાત ચોકી અને મહારાણા પ્રતાપ સર્કલ જેવા મુખ્ય જંકશનો પરથી આવતા ભારે વાહનોના રૂટ બદલીને તેમને ડિંડોલી તરફ અથવા અન્ય નાના માર્ગો તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા છે, જેથી વીવીઆઈપી રૂટ સંપૂર્ણપણે સુરક્ષિત રહી શકે. ટ્રાફિક ડીસીપી પન્ના મોમૈયા દ્વારા જારી કરાયેલી સૂચના મુજબ, ટ્રક, ડમ્પર, મિક્સર ટ્રક, લોરી અને મોટા ટેમ્પો સહિતના તમામ ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે, સ્કૂલ બસ અને BRTS (જેની સેવા સાબરગામ સુધી મર્યાદિત રહેશે) ને આ પ્રતિબંધમાંથી છૂટ આપવામાં આવી છે. આ પ્રતિબંધ ખાસ કરીને હજીરા અને પલસાણા/NH-48 તરફ જતા ટ્રાફિકને અસર કરશે. ગેલ કોલોની, ભીમરાડ ચેકપોસ્ટ, સ્વાગત કલિસ્ટા અને કપલેથા ચેકપોસ્ટ જેવા મુખ્ય પ્રવેશ બિંદુઓ પરથી ભારે વાહનોનો પ્રવેશ અટકાવાયો છે. હજીરા પહોંચવા માટે વાહનોને ઉધના-મગદલ્લા રોડથી રોકડીયા, અઠવાગેટ અને ONGC ચાર રસ્તા થઈને લાંબો વૈકલ્પિક રૂટ લેવો પડશે, જ્યારે પલસાણા તરફના ટ્રાફિકને કીમ-સાયણ અથવા અંજની ફાટક થઈને NH-48 તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આ વિસ્તૃત ડાયવર્ઝન પ્લાન મુલાકાત દરમિયાન હાઈવે પર ટ્રાફિકની ગીચતા ટાળવા માટે લાગુ કરાયો છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 9:46 pm

કન્યા છાત્રાલયના ભોજન વિવાદમાં ફૂડ વિભાગ શંકાના ઘેરામાં:જુનાને બદલે રાતોરાત બદલાયેલા એવોન જથ્થાના સેમ્પલ લીધા, અમે જેનાથી બીમાર પડતાં હતાં તેના સેમ્પલ લોઃ વિદ્યાર્થિની

જૂનાગઢની ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કન્યા છાત્રાલયમાં 12 નવેમ્બરની મોડીરાતે 230 જેટલી વિદ્યાર્થિનીએ ભોજનમાં ઈયળો-જીવાત નીકળવાની ઘટનાથી કંટાળીને હોબાળો મચાવ્યો હતો. આ ઘટના બાદ જિલ્લા કલેક્ટરે હોસ્ટેલની મુલાકાત લીધી હતી અને તપાસના આદેશ આપ્યાં હતાં. આજે (14 નવેમ્બર) ફૂડ વિભાગે પણ હોસ્ટેલમાં જઈ ભોજનના જથ્થાના સેમ્પલ લીધા હતાં. ત્યારે ફૂડ વિભાગની આ કામગીરીને લઈ વિદ્યાર્થિઓએ સવાલ ઉઠાવતાં કહ્યું કે, ભોજનનો એવોન જથ્થો આવ્યો છે, તેના ફૂડ વિભાગે સેમ્પલ લીધા છે. અમે જે જમીને બીમાર પડતાં હતાં તે જથ્થાના સેમ્પલ લેવામાં આવે. આ સાથે 24 કલાક અમે ન જમ્યા ત્યાંરે કલેક્ટર કે ફૂડ વિભાગ કોઈ ન આવ્યું, હવે જૂનાના બદલે નવા માલના સેમ્પલ લીધા. રાતોરાત બદલેલા નહિ, જૂના જથ્થાના સેમ્પલ લેવામાં આવેઃ વિદ્યાર્થિનીકન્યા છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થિની મોનિકા રાઠોડે જણાવ્યું કે, 12 નવેમ્બરની રાત્રે ખરાબ ભોજનને કારણે હોસ્ટેલમાં મોટો હોબાળો થયો હતો. શાકમાં જીવાત અને ઈયળ, જ્યારે સંભારામાં સાવરણાની સળીઓ મળી આવતા લગભગ 230 જેટલી છોકરીએ જમવાનો ઇનકાર કરી આંદોલન શરૂ કર્યું હતું. વારંવાર માત્ર બટેટાનું શાક પાણી જેવું અને કાચી રોટલીઓ અપાતી હતી. મેનુ મુજબ ભોજન ક્યારેય બનતું નથી. વિદ્યાર્થિનીએ આરોપ લગાવ્યો કે, આ ખરાબ જમવાના કારણે તેમને વારંવાર ફૂડ પોઈઝનિંગની સમસ્યા ઊભી થઈ છે. ‘નવો અને ફ્રેશ માલ-સામાન આવ્યો તેના ફૂડ વિભાગે સેમ્પલ લીધા’વધુમાં ઉમેર્યું કે, કલેક્ટરની મુલાકાત બાદ આજે ફૂડ વિભાગના અધિકારીઓ હોસ્ટેલ ખાતે સેમ્પલ લેવા પહોંચ્યા હતા. ફૂડ વિભાગે ખરાબ માલ-સામાન અને રાતના બનેલા શાક-રોટલીના બદલે રાતોરાત જે બદલાવીને હોસ્ટેલમાં જે નવો અને ફ્રેશ માલ સામાન (લોટ, મીઠું, હળદર, વગેરે) લાવવામાં આવ્યો હતો, તેના સેમ્પલ લીધા. અમારી માગ છે કે, જે જૂનો જથ્થો હતો તેના સેમ્પલ લેવામાં આવે. 24 કલાક સુધી અમે ભૂખ્યા રહ્યાં ત્યારે કલેક્ટર કે ફૂડ વિભાગ ન આવ્યો અને આજે એવોન જથ્થાના સેમ્પલ લીધા. માલ ઉપલબ્ધ હોય તેમાંથી જ સેમ્પલ લઈ શકીએઃ ફૂડ વિભાગઆ અંગે દિવ્ય ભાસ્કરે ફૂડ વિભાગના અધિકારી સુમિત વ્યાસ સાથે વાત કરી તો તેમણે પોતાનો બચાવ કર્યો હતો. જૂના માલના સેમ્પલ ન લેવા અંગે પૂછતા સુમિત વ્યાસે કહ્યું કે, જે સમયે જે માલ ઉપલબ્ધ હોય તેમાંથી જ સેમ્પલ લઈ શકીએ. કાલ રાતની દાળ કે શાકના સેમ્પલ કેવી રીતે લઈ શકાય? અમારા ફૂડ વિભાગને જ્યારે જાણ થઈ અને અમને જ્યારે સૂચના આપવામાં આવી ત્યારે હોસ્ટેલમાં જે વસ્તુ હાજર હતી તેમાંથી સેમ્પલ લીધેલા છે. અહીં સવાલ એ ઊભો થયો છે કે, જે ખરાબ ખોરાકના કારણે 230 દીકરીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં થયા હતા, તેના સેમ્પલ લેવાના બદલે નવા અને એવન ક્વોલિટીના માલના સેમ્પલ લઈને ફૂડ વિભાગ કોને બચાવવા માંગે છે. કેબિનેટ મંત્રીની મુલાકાત માત્ર ફોટો સેશન બનીવિદ્યાર્થિનીઓએ હોસ્ટેલના સંચાલકો પર ગંભીર આક્ષેપો કર્યા કે, આ ભ્રષ્ટાચાર લાંબા સમયથી ચાલી રહ્યો છે. ગત 9 ઓક્ટોબરના રોજ મંત્રી પ્રદ્યુમન વાજાએ હોસ્ટેલની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થિનીઓના જણાવ્યા મુજબ, મંત્રીની મુલાકાત માત્ર ફોટો સેશન બનીને રહી. મંત્રીની મુલાકાતના દિવસે એક દિવસ માટે સારી જમવાની વ્યવસ્થા ગોઠવાઈ, રસોયાઓએ ગ્લોવ્ઝ પહેર્યા, પરંતુ ત્યારબાદ ફરી ખરાબ જમવાનું આપવાનું શરૂ થયું. વિદ્યાર્થીનીઓએ મંત્રીને કહ્યું હતું કે, તમે હાલ જે જોઈ રહ્યા છો તે વાસ્તવિકતા નથી, પરંતુ આડા દિવસે આવો તો ખ્યાલ આવે. કલેક્ટરની મુલાકાત અને યોગ્ય કાર્યવાહીની ખાતરીવિદ્યાર્થીનીઓના હોબાળા અને મીડિયા રિપોર્ટ બાદ જિલ્લા કલેક્ટર તાત્કાલિક છાત્રાલયની મુલાકાતે પહોંચ્યા હતા. કલેક્ટરે છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થીનીઓ સાથે વાતચીત કરી તેમની ફરિયાદ સાંભળી હતી. કલેક્ટરે સ્વીકાર્યું કે જમવાનું સારું ન બનતું હોવાની ફરિયાદ છે. તેમણે કોન્ટ્રાક્ટર અને વોર્ડનને ખુલાસો પૂછવા માટે નોટિસ આપવાનો નિર્ણય કર્યો હતો. ઉપરાંત, ભવિષ્યમાં ગુણવત્તા જળવાઈ રહે તે માટે વિદ્યાર્થીનીઓની એક કમિટી પણ બનાવવાનો નિર્ણય કરાયો હતો. કલેક્ટરે હોસ્ટેલની અન્ય જરૂરિયાતો (જેમ કે શિયાળા માટે ગીઝર, બેડશીટ, શૌચાલયની ખરાબ હાલત)નું પણ લિસ્ટ તૈયાર કરાવી નિરાકરણ લાવવાની ખાતરી આપી. ઘટના સમયની સ્ટોરી વાંચવા માટે ક્લિક કરો... સરકારી કન્યા છાત્રાલયમાં હોબાળા બાદ કલેકટરે મુલાકાત લીધી, વિદ્યાર્થિનીઓની કમિટી બનાવાશે, હોસ્ટેલમાં આવતા સામાનને ચેક કરી સમાજ કલ્યાણ અધિકારીને રિપોર્ટ કરશે

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 9:45 pm

ચાર્જશીટમાંથી નામ દૂર કરવા લાંચ માગી:દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના ASI વતી 10 લાખની લાંચ લેતા શખસને ACBએ રંગે હાથ ઝડપ્યો

અમદાવાદમાં વિઝા કન્સલ્ટન્ટ પાસે 80 લાખની દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના ASI વતી લાંચ માંગનાર શખસની અમદાવાદ ACB દ્વારા ધરપકડ કરવામાં આવી છે. 10 લાખ લેતા તેઓને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે. નવરંગપુરા સી.જી. રોડ પર વિઝા કન્સલ્ટન્સી કેસમાં આરોપી તરીકે નામ ન ખોલવા માટે એક કરોડ માંગ્યા હતા પરંતુ, તેટલા પૈસાની વ્યવસ્થા ન થતા લાંચ આપી નહોતી. ત્યારબાદ ચાર્જશીટમાં નામ અને અસલ દસ્તાવેજ પાછા આપ્યા નહોતા. જેથી, તેને પરત આપવા માટે ક્રાઈમ બ્રાન્ચના ASI દ્વારા અમદાવાદના બે વ્યક્તિ પાસે તેમના વતી લાંચ માંગવા માટે કહ્યું હતું. ઓફિસમાં દિલ્હી ક્રાઇમ બ્રાન્ચની રેડ પડી હતીશહેરના નવરંગપુરા વિસ્તારમાં સી.જી. રોડ ઉપર 29 જુલાઈ, 2025નાં રોજ ફરિયાદી સી.જી.રોડ ખાતે આવેલી ઓમ ગ્લોબલ ટુર્સ એન્ડ વિઝા કન્સલટન્ટની ઓફિસે હાજર હતા. તે દરમિયાન ઓફિસમાં દિલ્હી ક્રાઇમ બ્રાન્ચની રેડ પડી હતી. ઓફિસ અને ફરિયાદીની ગાડીની ઝડતી કરી હતી. ઓફિસમાંથી બે લેપટોપ તથા બે પ્રિન્ટર અને ફરિયાદીનાં કુલ 17 પાસપોર્ટ વોલેટ, આધારકાર્ડ, એ.ટી.એમ કાર્ડ, અસલ ડ્રાઇવીંગ લાયસન્સ, ચુંટણી કાર્ડ, પાનકાર્ડ, બે ચેકબુક અને રૂ. 20 હજાર રોકડા લઇ લીધા હતા. દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના ગુનામાં સહઆરોપી તરીકે ફરિયાદીનું નામ ખુલતુ હોવાનો આરોપ મૂકી ફરિયાદી તથા ઓમ ગ્લોબલ ટુર્સનાં માલિકને નવરંગપુરા પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. ASI દ્વારા ફરિયાદી અને ઓમ ગ્લોબલ ટુર્સનાં માલિકને મુકામે હાજર રહેવા માટે નોટિસ આપીબન્નેને પોલીસ સ્ટેશનની બહાર બેસાડી રાખ્યા હતા. દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના ASI શિવકુમાર દ્વારા તેમના અમદાવાદના મિત્ર સંજય પટેલને બોલાવી લીધેલા હતા. ઓમ ગ્લોબલ ટુર્સનાં માલીકે તેમના મિત્ર ચીત્રેશ સુતરીયાને બોલાવી લીધેલ હતા. આ ચીત્રેશ સુતરીયા અને સંજય પટેલ બંને એકબીજાને પહેલાથી ઓળખતા જ હતા. બંનેએ મધ્યસ્થી કરીને ફરિયાદી અને ઓમ ગ્લોબલ ટુર્સનાં માલિકને તાત્કાલીક છોડાવેલા હતા. દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના ASI દ્વારા ફરિયાદી અને ઓમ ગ્લોબલ ટુર્સનાં માલિકને નિવેદન લખાવવા દિલ્હી મુકામે હાજર રહેવા માટે નોટિસ આપી હતી. ઓફિસમાંથી અને ફરિયાદીની ગાડીમાંથી કબ્જે લીધેલ દસ્તાવેજો તેમની સાથે લઇ ગયા હતા. ચાર્જશીટમાં ફરિયાદીના કબજે લીધેલ દસ્તાવેજોનો ઉલ્લેખ કર્યો નહોતોACBના ફરિયાદી દિલ્હી ખાતે જઇ ASI શિવકુમારને મળતાં તેઓએ ગુનામાં આરોપી તરીકે ફરિયાદીનું નામ નહી ખોલવા અને કબજે લીધેલા અસલ દસ્તાવેજો પરત આપવાના બદલામાં ફરિયાદી પાસે 1 કરોડ રૂપિયાની લાંચની માંગણી કરી હતી.. જેના માટે સંજય પટેલ અને ચિત્રેશ સાથે વાત કરવા જણાવ્યું હતું. સંજય પટેલ અને ચિત્રેશ દ્વારા સતત પૈસાની માંગણી ચાલુ હતી પરંતુ, ફરિયાદી પાસે આટલી મોટી રકમની વ્યવસ્થા કરાઈ નહી. જેથી, તેઓએ આરોપીઓને પૈસા આપ્યા નહી. જેથી, દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના શિવકુમાર દ્વારા સહઆરોપી તરીકે નામ લખી ફરિયાદીને ભાગેડું જાહેર કરી ચાર્જશીટ દાખલ કરી દીધી હતી પરંતુ, ચાર્જશીટમાં ફરિયાદીના કબજે લીધેલ દસ્તાવેજોનો ઉલ્લેખ કર્યો નહોતો. ચાર્જશીટમાંથી આરોપીનું નામ કાઢવા અને અસલ દસ્તાવેજો પરત આપવા 80 લાખ માગ્યાદિલ્હી ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કર્મી શિવકુમાર, સંજય અને ચિત્રેશ દ્વારા ચાર્જશીટમાંથી ભાગેડું આરોપી તરીકે ફરિયાદીનું નામ કઢાવી આપવા અને ફરિયાદીનાં અસલ દસ્તાવેજો પરત અપવાનાં બદલામાં ફરિયાદી પાસે રૂ. 80 લાખની માંગણી કરી હતી. જે પૈકી રૂ. 10 લાખ એડવાન્સમાં અને બાકીનાં પૈસા અસલ દસ્તાવેજો પાછા મળી જાય અને ચાર્જશીટમાંથી ભાગેડું આરોપી તરીકે નામ નીકળી જાય, ત્યારબાદ આપવાનું નક્કી કર્યું હતું પરંતુ, ફરિયાદી આ લાંચના પૈસા આપવા ઇચ્છતા ન હોઇ ACBનો સંપર્ક કરી ફરીયાદ આપતા ચિત્રેશ સુતરીયા સાથે વાતચીત કરવામાં આવી હતી અને તેને રંગે હાથ લાંચની રકમ લેતા ઝડપી પાડ્યા હતા

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 9:41 pm

મંત્રી કુંવરજી બાવળિયા ગોધરાની મુલાકાતે:જિલ્લા પંચાયત ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરાની મુલાકાત લીધી હતી. શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર અને ગ્રામ વિકાસ વિભાગોનો પદભાર સંભાળ્યા બાદ ગોધરા ખાતેની આ તેમની પ્રથમ મુલાકાત હતી. આ દરમિયાન તેમણે જિલ્લા પંચાયત કચેરી, ગોધરા ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જિલ્લા પંચાયત કચેરીના સભાખંડમાં આયોજિત આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના વડાઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ મુખ્યત્વે પોતાના હસ્તકના વિભાગો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. બેઠક દરમિયાન, મંત્રીએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ચાલતી ગ્રામીણ વિકાસની વિવિધ યોજનાઓ તેમજ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા યુવાનો અને શ્રમિકો માટે ચાલતા તાલીમ કાર્યક્રમો અને કલ્યાણકારી યોજનાઓની વર્તમાન સ્થિતિની વિગતવાર સમીક્ષા કરી હતી. મંત્રીએ અધિકારીઓ પાસેથી આ યોજનાઓના અમલીકરણમાં આવતી પડકારો અને મુશ્કેલીઓ વિશે પૂછપરછ કરી હતી. તેમણે તેના ત્વરિત નિરાકરણ માટે ચર્ચા-વિચારણા હાથ ધરી હતી. મંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે, સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવું અને તમામ વિકાસ કાર્યો સમયમર્યાદામાં તથા પારદર્શક રીતે પૂર્ણ કરવા. મંત્રી બન્યા બાદ તેમની આ પ્રથમ મુલાકાત અને સમીક્ષા બેઠકને કારણે જિલ્લાના સંબંધિત વહીવટી તંત્રોમાં ગતિશીલતા જોવા મળી હતી.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 9:33 pm

મોરબીમાં કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન અમિત શાહ કરશે:નવનિયુક્ત પ્રદેશ પ્રમુખનો અભિવાદન સમારોહ પણ યોજાશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી ૨૧મી નવેમ્બરે મોરબીની મુલાકાત લેશે. તેઓ સનાળા ગામ પાસે નવનિર્મિત કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ પણ યોજાશે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતભરમાં આધુનિક સુવિધાઓથી સજ્જ કમલમ કાર્યાલયો બનાવવામાં આવ્યા છે. મોરબી નજીક સનાળા ગામ ખાતે તૈયાર થયેલું આ કાર્યાલય પણ આ જ શ્રેણીનો એક ભાગ છે. અમિત શાહની હાજરીમાં યોજાનાર આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે. પ્રદેશ પ્રમુખના અભિવાદન સમારોહને ભવ્ય બનાવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેના ભાગરૂપે, શનિવારે બપોરે મોરબીના રવાપર ગામ પાસે આવેલા ઉમા હોલ ખાતે જિલ્લા ભાજપ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક દરમિયાન, બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનને ભાજપ પરિવારના સભ્યોએ હાજર રહીને સાંભળ્યું હતું. આ પ્રસંગે રાજકોટ જિલ્લા ભાજપના પ્રભારી ધવલભાઈ દવે અને ભાજપ પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડો. ઋત્વિજભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 9:31 pm

સંવેદના ટ્રસ્ટ દ્વારા ક્રિકેટ ફોર અ કોઝ ટુર્નામેન્ટનું આયોજન:આગામી 21 તારીખ સુધી રમાશે બોક્સ ક્રિકેટ, 27 ટીમ વચ્ચે 35 જેટલી મેચ રમાશે

સંવેદના ટ્રસ્ટ દ્વારા શેલાના શૂટ આઉટ એરેનામાં ક્રિકેટ ફોર અ કોઝ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી લઈને આગામી 21 તારીખ સુધી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલવાની છે. જેમાં 8 દિવસ સુધી અલગ-અલગ 27 ટીમ વચ્ચે 35 જેટલી મેચ રમાશે. ક્રિકેટ ટુર્નામેન્ટ થકી વિદ્યાર્થીઓ અને કોર્પોરેટ કંપનીના કર્મચારીઓ એકસાથે આવે તે માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેમજ બધી મેચ પૂર્ણ થયા બાદ જે પણ ટીમ ફાઈનલમાં જીતશે તેને ઈનામથી સન્માનિત કરવામાં આવશે. સંવેદના ટ્રસ્ટ છેલ્લા 2004થી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી રહી છેસંવેદના ટ્રસ્ટ છેલ્લા 25 વર્ષથી શિક્ષણ કાર્ય સાથે જોડાયેલું છે. વાડજ વિસ્તારથી ટ્રસ્ટ દ્વારા શિક્ષણ કાર્યની શરૂઆત કરવામાં આવી છે. આજે ટ્રસ્ટ દ્વારા 25 કરતા વધુ શાળાઓમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મદદ કરવામાં આવે છે. તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓના વિદ્યાર્થીઓ ધોરણ-8 પછી વધુ અભ્યાસ કરવા ઇચ્છતા હોય તો તેમને સ્કોલરશીપ પણ આપવામાં આવે છે. સંવેદના ટ્રસ્ટ છેલ્લા 2004થી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી રહી છે. બોક્સ ક્રિકેટ કોન્સેપ્ટ પણ સંવેદના ટ્રસ્ટ દ્વારા લાવવામાં આવ્યો હતો. 25 મ્યુનિસિપલ શાળાઓમાં એકલવ્ય પ્રોજેક્ટ ચલાવીએ છીએફાઉન્ડર સંવેદના ટ્રસ્ટના ફાઉન્ડર જાનકીબેન વસંતે જણાવ્યું હતું કે, 2004થી ક્રિકેટની ટુર્નામેન્ટ રમાડીએ છીએ. સંવેદના ટ્રસ્ટ દ્વારા શિક્ષણના કામ કરવામાં આવે છે. 25 મ્યુનિસિપલ શાળાઓમાં એકલવ્ય પ્રોજેક્ટ ચલાવીએ છીએ. જેમાં વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ માટે સ્કોલરશીપ આપવામાં આવે છે. આજે કોર્પોરેટના લોકો માટે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. કોર્પોરેટ કંપનીઓ જોડાય છે અને લોકો એકબીજા સાથે મળે છે. તેમજ અન્ય બાળકોને પણ આ ટુર્નામેન્ટ માટે જોડવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 9:25 pm

રૂ.9 હજારની ઉઘરાણીએ લીધો યુવાનનો જીવ:રાજકોટમાં મામાના દીકરાએ લાફો મારતા યુવાને આપઘાત કર્યો હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

રાજકોટના આજીડેમ ચોક નજીક રહેતાં યુવાને ગત મહિને એસિડ પી આપઘાત કરી લીધાના બનાવમાં રૂપિયા 9 હજારની લેતીદેતી મામલે મામાના દિકરાએ લાફો મારી અપમાનીત કરી ધમકી આપતાં યુવાનને મરવા મજબૂર થયાનું સામે આવતા આજીડેમ પોલીસે યુવાનની પત્નીની ફરિયાદ આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવાને રૂ.એક લાખની લોન લીધી હતી રાજકોટ શહેરમાં આજીડેમ ચોક નજીક ભારતનગરમાં રહેતાં મુળ કોટડાસાંગાણીના દેવળીયા ગામે રહેતાં પૂજાબેન કિરીટભાઇ જાદવ (ઉ.વ.30)એ ફરિયાદમાં જણાવ્‍યું હતું કે તેમના પતિ કિરીટભાઈ શંભુભાઈ જાદવ અને તેમના મામાના દીકરા અજયભાઈ છગનભાઈ ગોહેલ વચ્‍ચે રૂ.9000ની હપ્તાની રકમની લેતીદેતી હતી. આશરે એક વર્ષ પહેલા કિરીટભાઈએ તેમના સગાભાઈના નામે માધવ મંડળીમાંથી રૂ.1,00,000ની લોન લીધી હતી જેમાંથી 50,000 રૂપિયા અજયભાઈને આપ્‍યા હતા. તેનો માસિક હપ્તો 6,000 રૂપિયા હતો જેમાં બન્નેએ 3-3 હજાર રૂપિયા ભરવાના નક્કી કર્યા હતા. મામાના દીકરાએ 3 હપ્તા ભરી આપ્યા હતા કિરીટભાઈની આર્થિક સ્‍થિતિ સારી ન હોવાથી તેઓ તેમના ભાગના ત્રણ હપ્‍તાના કુલ રૂ.9000 ભરી શકયા ન હતા જે અજયભાઈએ ભર્યા હતા અને તેની સતત ઉઘરાણી કરતા હતા. ગત 20 તારીખના રોજ સાંજે 6 વાગ્‍યાની આસપાસ અજયભાઈએ મૃતક કિરીટને ફોન કરી ઘરે આવી 9000 રૂપિયા તાત્‍કાલિક માંગ્‍યા હતા જેથી થોડા સમયમાં પૈસા આપી દેવાનું કહ્યું હતું. ત્‍યારબાદ અજય મૃતક કિરીટને વાહનમાં બેસાડી આજીડેમ પાસે શક્‍તિ હોટેલ નજીક લઈ ગયો હતો. ત્‍યાં અજયએ લોનના પૈસા બાબતે ઉગ્ર બોલાચાલી કરી જેમ-ફાવે તેમ બોલી અને ગુસ્‍સે થઈ એક-બે લાફા માર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પિતરાઈ ભાઈએ લાફા મારતા માઠું લાગી જતા કર્યો આપઘાત પિતરાઈ ભાઈએ મરેલા લાફા અંગે અપમાન અને ત્રાસથી વ્‍યથિત થઈ સાંજે 6.30 વાગ્‍યાની આસપાસ ઘરે આવી અને બાથરૂમમાં રાખેલ એસિડની બોટલમાંથી કિરીટએ એસિડ પી લીધું હતું જેથી ઉલ્ટી થવા લાગતા પત્નીએ પૂછતાં તેણે હકીકત જણાવી હતી. આજુબાજુ માણસો ભેગા થતાં જ આરોપી અજય ગોહેલ ત્‍યાંથી જતો રહ્યો હતો બાદમાં 108માં મારફત તાત્‍કાલિક સિવિલ હોસ્‍પિટલ સારવાર માટે ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન ડોક્‍ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. પૂજાબેને પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્‍યું છે કે તેમના મામાજીના દીકરા અજયભાઈ પતિ કિરીટને અવાર-નવાર ફોન કરી અને રૂબરૂ પૈસાની માંગણી કરતા જેના માનસિક-શારીરિક ત્રાસને કારણે તેમના પતિએ ડરીને આત્‍મહત્‍યાનું પગલું ભર્યું હતું. હાલ પોલીસે મૃતકના મામાના દીકરા વિરુદ્ધ મરવા મજબુર કર્યા અંગે કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 9:21 pm

ભાવનગરમાં પોલીસ બેડામાં ખળભળાટ:SPએ 7 પોલીસકર્મીઓને એકસાથે સસ્પેન્ડ કર્યા, 5ની અગાઉથી ગુનાહિત પ્રવૃતિમાં સંડોવણી; બે સામે ફરજમાં બેદરકારી સામે આવી

ભાવનગર પોલીસ બેડામાં ફરજ બજાવતા 7 જેટલા પોલીસ કર્મચારીઓને એકસાથે સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. જિલ્લામાં ક્યુઆરટી, પોલીસ હેડક્વાર્ટર, મોટર ટ્રાસન્પોર્ટ તેમજ જુદા-જુદા શહેરના પોલીસ મથકોમાં ફરજ બજાવતા સાત જેટલા પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ ભાવનગર જિલ્લા એસ.પી. દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. 7 પોલીસકર્મીઓને એકસાથે સસ્પેન્ડ કરતા કર્મચારીઓમાં ફફડાટભાવનગર જિલ્લાના એસ.પી. નિતેશ પાંડે દ્વારા જિલ્લાની સુકાન હાથમાં લીધા બાદ શહેર તેમજ જિલ્લામાં જાહેરમાં દેશી તેમજ વિદેશી દારૂના હાટડા ચલાવતા બુટલેગરો, ડ્રગ પેડલરો, ગાંજાના પેડલરો, મોટા ગજાના બુકીઓ તેમજ અન્ય આરોપીઓ તરફે સકંજો કસી અનેક દુષણોને ડામી દેવામાં આવ્યા છે. ત્યારે હવે ભાવનગર શહેર જિલ્લાના પોલીસ બેડામાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા તેમજ ફરજ પ્રત્યે બેદરકારી દાખવતા એકસાથે સાત પોલીસ કર્મચારીઓને ધડાધડ સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. બે કર્મચારીઓ સામે ફરજમાં બેદરકારી સામે આવીભાવનગર શહેરના ક્યુઆરટી, હેડક્વાર્ટર, મોટર ટ્રાન્સપોર્ટર, નિલમબાગ પોલીસ મથક અને શહેરના અન્ય પોલીસ મથકોમાં ફરજ બજાવતા સાત પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરાઇ છે. જેમાં પાંચ પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ અગાઉ જુદા-જુદા પોલીસ ચોપડે ગુના નોંધાયેલા છે તેમજ બે પોલીસ કર્મચારીઓને બેદરકારી બદલ કાર્યવાહી કરવામાં આવી હોવાનું ભાવનગર જિલ્લા એસ.પી. નિતેશ પાંડે દ્વારા જણાવાયું છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 9:20 pm

નખત્રાણામાં જમીન પર પડેલા વીજ તારથી યુવકને કરંટ લાગ્યો:ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર માટે ભુજ ખસેડાયો

નખત્રાણા તાલુકાના નાના અંગિયા ગામમાં એક માલધારી યુવકને વીજ કરંટ લાગતા તે ગંભીર રીતે ઘાયલ થયો છે. જમીન પર પડેલા ખાનગી કંપનીના જીવંત વીજ તારના સંપર્કમાં આવતા આ ઘટના બની હતી. યુવકને તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નાના અંગિયા ગામની પૂર્વ દિશામાં આવેલા પેનાભાઈ રબારીના ખેતર નજીકથી પસાર થતી ખાનગી કંપનીની હેવી વીજ લાઈનના તાર જમીન પર ઢળી પડ્યા હતા. રબારી રાણાભાઈ ખેંગારભાઈ નામનો યુવક ઢોર ચરાવી રહ્યો હતો ત્યારે અજાણતામાં આ વીજ તારના સંપર્કમાં આવ્યો હતો અને તેને જોરદાર વીજ કરંટનો ઝટકો લાગ્યો હતો. ઘટના બનતા જ આસપાસના લોકો યુવકની મદદ માટે દોડી આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સની મદદથી તેને પ્રથમ નખત્રાણાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. યુવકની ગંભીર સ્થિતિ જોતા તેને વધુ સારવાર માટે ભુજ ખસેડવામાં આવ્યો હતો. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં માલઢોર ચરતા હોય છે અને ખાનગી કંપનીના ખુલ્લા વીજ તારને કારણે લોકોને ભારે ભય સતાવી રહ્યો છે. ગ્રામજનોના મતે, દિવાળી સમયે પણ આવી જ સમસ્યા અંગે કંપનીને જાણ કરવામાં આવી હતી, છતાં કોઈ ધ્યાન અપાયું ન હતું.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 9:18 pm

વલસાડના 40,950 ખેડૂતોને 71.74 કરોડની સહાય મળશે:કમોસમી વરસાદથી ડાંગર પાકને થયેલા નુકસાન બદલ સહાય કરાશે

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદથી ડાંગરના પાકને થયેલા નુકસાન બદલ રાજ્ય અને કેન્દ્ર સરકારે સંયુક્ત રીતે 71.74 કરોડ રૂપિયાની સહાય મંજૂર કરી છે. આ સહાય 40,950 ખેડૂતોને ચૂકવવામાં આવશે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ગુજરાત રાજ્યમાં 10 હજાર કરોડની ખેતીના પાકને થયેલા નકસાની સહાય ચુકવવાની જાહેરાત કરવામાં આવી હતી. જે પૈકી વલસાડ જિલ્લાના 40,950 ખેડૂતોને 73 હજાર હેક્ટર જમીનમાં થયેલા ડાંગરના તૈયાર પાક માટે કુલ 71.74 કરોડની સહાયની ફાળવણી કરવામાં આવી છે. વલસાડ ખેતીવાડી વિભાગે માત્ર સાત દિવસમાં 37 હજાર હેક્ટરથી વધુ જમીનમાં 40,950 ખેડૂતોના ડાંગર પાકમાં થયેલા નુકસાનનું સર્વેક્ષણ કર્યું હતું. આ સહાય પેકેજની ફાળવણી બાદ, આજથી ખેડૂતોએ 'આઈ-ખેડૂત' પોર્ટલ પર તેમના ખેતરમાં થયેલી નુકસાનીની વિગતો ઓનલાઈન ભરવાની રહેશે. ખેતીવાડી વિભાગને ગ્રાન્ટ મળ્યા બાદ, સરકારના નિયમો અનુસાર સહાયની રકમ સીધી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. વલસાડ જિલ્લાના વલસાડ, પારડી, કપરાડા, ઉમરગામ અને વાપી તાલુકાના ડાંગર સહિતના ખેતી પાક પર નિર્ભર ખેડૂતોની હાલત કફોડી બની હતી. વલસાડના સાંસદ સહિત જિલ્લાના તમામ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખીને ડાંગર પાકના નુકસાન અંગે વળતર માટે સર્વે કરાવવા રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ રાજ્ય સરકારે જિલ્લા કલેક્ટર અને DDO દ્વારા અપાયેલી સૂચના અનુસાર ખેતીવાડી વિભાગના નેતૃત્વમાં ડાંગરના પાકમાં થયેલા નુકસાનના સર્વેની કામગીરી હાથ ધરી હતી. ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના નુકસાનના વળતર માટે સિદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. હાલમાં, વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં સેટેલાઇટની મદદથી ખેડૂતોના ખેતરનું સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. ખેતીવાડી અને બાગાયત વિભાગની ટીમ દ્વારા આ સર્વેની કામગીરી ચાલુ છે. વલસાડ જિલ્લામાં 75 હજાર હેક્ટરથી વધુ જમીનમાં ડાંગરની રોપણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે નવરાત્રી બાદ પડેલા વરસાદને કારણે તૈયાર ડાંગરના પાકને ભારે નુકસાન થયું હતું. ઓક્ટોબરમાં ભારે પવન ફૂંકવાથી વલસાડ જિલ્લામાં 75 હજાર એકર જમીનમાં રોપણી કરેલા ડાંગર પૈકી ડાંગરનો તૈયાર પાક ખેતરમાં પડી ગયો હતો. વલસાડ જિલ્લામાં ખેડૂતોને નુકસાની થઈ હોવાની વળતર ચૂકવવા માટે વલસાડ સાંસદ ધવલ પટેલ અને વલસાડના ધારાસભ્ય ભરત પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી અને ધરમપુર ધારાસભ્ય અરવિંદ પટેલે સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવા મુખ્ય મંત્રીને રજુઆત કરી હતી.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 9:15 pm

રાજકોટ ક્રાઇમ ન્યુઝ:20 વર્ષથી પતીચીત પિતા-પુત્ર દાગીના બનાવવા આપેલ વેપારીનું 1.39 કરોડનું ફાઈન ચાંદી ઓળવી જતા ફરિયાદ નોંધાઈ

રાજકોટમાં વધુ એક સોની વેપારી સાથે કારીગર પિતા-પુત્ર દ્વારા 1 કરોડથી વધુ કિંમતની ફાઈન ચાંદી ઓળવી જવા અંગે ફરિયાદ એ ડિવિઝન પોલીસમાં નોંધાઈ છે. જેમાં ફરિયાદી જીતેન્દ્રભાઇએ ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ સોની બજાર દરબાર ગઢ ચોકની બાજુમા ડાયમંડ ચેમ્બરમા પદમાવતી ટ્રેડર્સ નામની પેઢી ચલાવી ચાંદીનાં દાગીનાનુ લે વેચનો વેપાર કરે છે. લક્ષ્મીવાડીમા રહેતા હરેશ કારેલીયા અને તેનાં દીકરા પ્રશાંત ઉર્ફે પીન્ટુને છેલ્લા 20 વર્ષથી ઓળખતા હોવાથી તેમને ઘરેણા બનાવવા માટે આપતા હતા. ગઇ તા.03.06.2025નાં રોજ 36,206 ગ્રામ, તા.06.06.2025નાં રોજ 34,209 ગ્રામ ફાઈન ચાંદી ત્યારબાદ ગઇ તા.10.06.2025નાં રોજ 20,106 ગ્રામ મળી કુલ 90,621 ગ્રામ ફાઇન ચાંદી જેની કિંમત રૂ.1.39 કરોડ થાય તે ચાંદીનાં પટ્ટા અને લકકી બનાવવા માટે આપ્યુ હતુ જે એક મહિનામાં પરત આપવાનું હતું એક મહિના પછી હરેશભાઇને કોલ કરતા કે થોડા દીવસમા આપી દઇશ કહી બાદમાં ફોન ઉપાડવાનુ બંધ કરી દીધુ હતુ. જેથી હરેશભાઇ અને તેમનો દીકરો પ્રશાંત ઉર્ફે પીન્ટુ રૂ.1.39 કરોડનુ ફાઇન ચાંદી ઓળવી જતા એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બન્ને પિતા-પુત્ર વિરુધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હિટ એન્ડ રન બનાવમાં ઈજાગ્રસ્ત યુવાનનું મોત પોપટપરામાં જેલ પાછળ રહેતો રાજાભાઇ રતિલાલ દુદકીયા (ઉ.વ.28) નામનો યુવાન ગત 28 ઓક્ટોબરના રોજ સાંજે 8.30 વાગ્યે ઘરેથી બાઇક લઇ કરીયાણુ લેવા માટે નીકળ્યો હતો દરમિયાન પોપટપરા સ્મશાન પાસે તેને અકસ્માત નડતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યાંથી ફરી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં આજે સવારે તેનું મોત થતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. બનાવ અંગે જાણ થતા પ્રદ્યુમનનગર પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક રાજાભાઇ બે બહેન અને ચાર ભાઇમાં નાનો હતો. તેના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતાં. તે બકાલુ વેંચી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. કુખ્યાત બુટલેગરનાં પુત્રએ પાસામાંથી છૂટી ફરી લખણ ઝળકાવ્યા મુંજકાનાં શ્રી સીટી એપાર્ટમેન્ટ ફ્લેટ નં.1001માં રહેતા પાનનાં ધંધાર્થી પ્રતિક રમેશચન્દ્ર રુઘાણીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કરણ અને જેનીશના નામ આપ્યા છે. તેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, આ બન્ને અમારી પાનની દુકાને આવ્યા હતા તેણે અહીંથી સિગરેટ અને પાણીની બોટલ લીધી હતી અને બાદમાં બંને અંદરો-અંદર ગાળો બોલતાં હતા જેથી ગાળો બોલવા ના પાડતા બંને ઉશ્કેરાઈ જઈ મારી પાસે આવી મને ઓળખો છો હું જેનીશ મહાજન છું મારા પપ્પા કોણ છે તમને ખબર છે. મારા પર ઘણા બધા ગુના દાખલ છે તેમ કહી પાણીની બોટલનો ઘા કર્યો હતો. અને મને પણ ગાળો આપી કહેવા લાગ્યા કે, તારે મને કાંઇ કહેવુ નહીં, નહીંતર તારા ટાંટીયા ભાંગી જાનથી મારી નાખીશ અને દુકાનમાં તોડફોડ કરવાં લાગ્યો હતો. આ પછી મારા ભાઈએ 112 જનરક્ષક હેલ્પલાઇન પર ફોન કરતાં પોલીસ આવતાં જેનીસને સાથે લઈ પોલીસ સ્ટેશન આવ્યા બાદ જેનીસની સાથેનો વ્યક્તિ કરણ પણ અહીં પોલીસ સ્ટેશન ખાતે આવ્યો હતો. હાલ યુવાનની ફરિયાદ પરથી યુનિવર્સીટી પોલીસે કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજનનાં પુત્ર જેનીશ હર્ષદ માંડલિયા અને કરણ રાજુભાઈ પરમાર નામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. છ કારખાનામાં ચડ્ડી બનીયાનધારી ટોળકી ત્રાટકી માયાણી ચોક પાસે પરીવાર પાર્કમાં રહેતા ચિરાગભાઇ ગીરીશભાઇ માલવીયા (ઉ.વ.37) એ તાલુકા પોલીસ સ્ટેશનમાં ચડી-બંડી અને મોઢે રૂમાલ બાંધેલા પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ચિરાગભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં ગેલ કુપા એન્ટરપ્રાઇઝ નામનું કારખાનું ધરાવું છું. ગઇકાલે સવારે હું મારા ઘરે ગયો ત્યારે કારખાનામાં કામ કરતો કારીગર પીન્ટુનો ફોન આવ્યો તેણે કહયું કે હું આપણા કારખાનાનુ તાળુ ખોલી અંદર જતા ઓફીસનું તાળુ તુટેલુ જોવા મળ્યુ છે જેથી હું કારખાને આવીને તપાસ કરતા ઓફીસની લોખંડની ગ્રીલવાળા દરવાજાનું લોક તુટેલુ અને સામાન વેરવીખેર જોવા મળ્યો હતો જે બાદ તપાસ કરતા ટેબલના ખાનામાં રાખેલા રૂ.50 હજાર જોવા ન મળતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી. ત્યારબાદ તપાસ કરતા મારા કારખાનાની બાજુમાં અલગ અલગ 6 જેટલા કારખાનામાં પણ આ ચડી-બનીયાન ધારી ટોળકીએ ઓફીસના તાળા તોડી સામાન વેરવીખેર કરી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 8:48 pm

પાટણના બાલીસણામાં ઈકો કારે 4 મહિલાઓને અડફેટે લીધી, એકનું મોત:ત્રણ મહિલાઓને ઈજા, અકસ્માત બાદ ઈકો દિવાલ સાથે અથડાતાં ટાયર ફાટી ગયું

પાટણ તાલુકાના બાલીસણા ગામે એક ઈકો કારે ચાર મહિલા રાહદારીઓને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ મહિલાઓ ઘાયલ થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત બાલીસણા ગામના ઠાકોર વાસમાંથી બહાર રોડ પર આવતી વખતે થયો હતો. ઈકો કારના ચાલકે રોડ નજીક પહોંચતા જ પસાર થઈ રહેલી ત્રણ રાહદારી મહિલાઓને અડફેટે લીધી હતી. ત્યારબાદ કાર એક દિવાલ સાથે અથડાઈ હતી, જેના કારણે કારનું ટાયર ફાટી ગયું હતું. અકસ્માતમાં ગંભીર ઈજાઓને કારણે લખીબેન ભવાનજી ઠાકોર નામની મહિલાનું કરુણ મોત થયું હતું. તેમની સાથે રહેલી લજુબેન નવાજી ઠાકોર (ઉં.વ. 45), રેવાબેન જુહાજી ઠાકોર (ઉં.વ. 40) અને સવિતાબેન ઠાકોર (ઉં.વ. 65) ને પણ ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત ત્રણેય મહિલાઓને તાત્કાલિક સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અકસ્માતમાં ઈકો કારના ચાલકને પણ સામાન્ય ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. બાલીસણા ગામની ઠાકોર સમાજની મહિલાનું અકસ્માતમાં મોત થતાં પરિવાર અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ અંગે મળતી માહિતી મુજબ, અકસ્માત સર્જનાર ઈકો ચાલક અને ભોગ બનનાર તમામ એક જ મહોલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત સ્થળથી થોડા જ અંતરે એક શાળા અને રહેણાંક સોસાયટી આવેલી હતી. સદનસીબે, કાર ત્યાં સુધી પહોંચી ન હોવાથી વધુ મોટી દુર્ઘટના ટળી હતી.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 8:39 pm

50 કરોડની ઠગાઈનો કેસ, કોર્ટે આરોપીને જેલભેગો કર્યો:CID ઠોસ ગ્રાઉન્ડ રજૂ ન કરી શકતાં આરોપી જયમ સોનાણીની 7 દિવસની રિમાન્ડ અરજી નામંજૂર

સુરત હીરા બજારમાં લગભગ 50 કરોડની મહા ઠગાઈના ચકચારજનક કેસમાં CID ક્રાઈમની તપાસ પ્રક્રિયા પર ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. આરોપી જયમ મહેશ સોનાણીની CID ક્રાઈમ દ્વારા માંગવામાં આવેલી સાત દિવસની રિમાન્ડ અરજી કોર્ટે ફગાવી દીધી છે. CID દ્વારા જે રિમાન્ડના ગ્રાઉન્ડ્સ રજૂ કરવામાં આવ્યા હતા, તે પૂરતા ઠોસ અને યોગ્ય ન હોવાથી આરોપીને પોલીસ રિમાન્ડની નામંજૂર કરાઈ છે. કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી આરોપી જયમ સોનાણીને જેલભેગો કરી દીધો છે, જેના કારણે CIDની તપાસ શહેરના વેપારી વર્તુળોમાં ફરી ચર્ચાનો વિષય બની છે. શું હતો સમગ્ર કેસ?આ કેસની વિગતો અનુસાર, આરોપી જયમ સોનાણીએ ફરિયાદી હીરા વેપારી અંકુશ મધુભાઈ નાકરાણીને એવી લાલચ આપી હતી કે, તેની પાસે રફ હીરા ઉત્પાદનની ભારતની સૌથી શ્રેષ્ઠ ટેકનોલોજી છે. આના આધારે, ફરિયાદીની કંપનીઓ 'જસ્કો' અને 'એશિયન ગ્રે ડાયમંડ' સાથે આરોપીની કંપની 'ડાયમ અને સોનાણી પ્રા.લી.' વચ્ચે એક MOU કરવામાં આવ્યો હતો. આ MOU મુજબ, 16 સિસ્ટમ દ્વારા પ્રતિ માસ 20,000 કેરેટ રફ હીરાનું ઉત્પાદન કરીને આપવાનું નક્કી થયું હતું. આ સોદાના બદલામાં ફરિયાદીએ આરોપીને 26.60 કરોડ બેન્કમાં ટ્રાન્સફર કર્યા હતા અને 23.35 કરોડના રફ હીરા આપ્યા હતા. જોકે, આરોપીએ ન તો વચન મુજબ હીરાનું ઉત્પાદન કરીને આપ્યું, ન તો રોકડ રકમ પરત કરી. CID ક્રાઈમે કોર્ટમાં 7 દિવસના રિમાન્ડ માગવા રજૂ કરેલા મુદ્દાઓ બચાવ પક્ષે એડવોકેટ કલ્પેશ દેસાઈ હાજર રહ્યા હતા. કોર્ટે આ મુદ્દાઓને પોલીસ કસ્ટડી માટે પૂરતા નક્કર ન ગણતા રિમાન્ડ નામંજૂર કર્યા હતા. વિવાદાસ્પદ ભૂતકાળ અને PMO સુધી ફરિયાદCIDની તપાસ પ્રક્રિયા પર સવાલો ઉભા થવાનું મુખ્ય કારણ આરોપી જયમ સોનાણીને અગાઉ સુરત એરપોર્ટ પરથી સરકારી વાહનમાં 'ઉચકી' જઈને ગણતરીના કલાકોમાં જ નિવેદન લઈને છોડી મૂકવાનો બનાવ હતો. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો, પરંતુ CID દ્વારા કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. આ મામલે ફરિયાદી અંકુશ નાકરાણી દ્વારા PMO સુધી ફરિયાદ કરવામાં આવી હતી અને CID ક્રાઈમ કચેરીના CCTV ફૂટેજની તપાસની પણ માંગણી કરવામાં આવી હતી. આ અગાઉની ઢીલી કાર્યવાહીના કારણે જ કોર્ટે વર્તમાન રિમાન્ડ અરજીને ગંભીરતાથી ધ્યાને લીધી ન હોવાની ચર્ચા છે. આવકવેરા વિભાગની નજરઆ કેસમાં ભલે આરોપી રિમાન્ડ પર ન મળ્યો હોય, પરંતુ તપાસ સાથે સંકળાયેલા અધિકારીઓના ઇશારા મુજબ, જે બેંક એકાઉન્ટમાં 26 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર થઈ છે, તે ગમે ત્યારે સીઝ થઈ શકે છે. ઉપરાંત, 10 કરોડથી વધુના ચિટિંગ કેસો પર આવકવેરા વિભાગ પણ ખાસ નજર રાખતું હોય છે, જેથી આગામી સમયમાં IT વિભાગ પણ આ કેસની તપાસમાં જોડાઈ શકે તેવી સંભાવના છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 8:34 pm

સુરેન્દ્રનગરમાં ચૂંટણી અધિકારીએ રાજકીય પક્ષો સાથે બેઠક યોજી:મતદાર યાદી સુધારણા પર સૂચનોની ચર્ચા થઈ

સુરેન્દ્રનગર કલેકટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ હેઠળ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન, વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મતદાર યાદીની સઘન સુધારણા ઝુંબેશ વિશે જાણકારી આપવામાં આવી હતી. રાજકીય પક્ષો તરફથી મળેલા મહત્વપૂર્ણ સૂચનો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સામાન્ય નાગરિકોને મતદાર યાદીમાં નામ ઉમેરવા, સુધારવા કે દૂર કરવામાં પડતી વ્યવહારુ મુશ્કેલીઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. જિલ્લા ચૂંટણી અધિકારીએ આ મુશ્કેલીઓના ત્વરિત અને વ્યવહારુ નિવારણ માટે જરૂરી માર્ગદર્શન અને સચોટ સૂચનાઓ આપી હતી. જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ સરળતાપૂર્વક અને ક્ષતિરહિત પૂર્ણ થાય તે માટે તમામ માન્ય રાજકીય પક્ષોને જિલ્લા વહીવટી તંત્રને સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી. આ બેઠકમાં ચૂંટણી સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 8:31 pm

ખારાઘોડા ફાયરિંગની ઘટનામાં ઈજાગ્રસ્ત યુવાનના શરીરમાંથી 60 છરા નીકળ્યા:આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર, ગેરકાયદે બંદૂકથી ફાયરિંગનો પણ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના ખારાઘોડા ગામે થયેલા ફાયરિંગ કેસમાં એક યુવાનના શરીરમાંથી 60 જેટલા છરા કાઢવામાં આવ્યાં છે. આ કેસના આરોપી સિરાજખાન ભાણજીખાન જતમલેકને કોર્ટમાં રજૂ કરાતા એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઘટના છ મહિના અગાઉના એક ઝઘડાનું પરિણામ છે. આરોપી સિરાજખાનની પ્રેમિકા અને ફરિયાદી સલીમ કાદી (ઉં.વ. 32)ની માતા તથા બહેન વચ્ચે શાકભાજી બાબતે ઝઘડો થયો હતો. આ મનદુઃખ રાખીને સિરાજખાન ઉશ્કેરાયો હતો. મનદુઃખના કારણે ઉશ્કેરાયેલા સિરાજખાને ફરિયાદી સલીમભાઈ પર આડેધડ ફાયરિંગ કર્યું હતું. ગંભીર રીતે ઘાયલ થયેલા સલીમભાઈને તાત્કાલિક વિરમગામની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના પર મેરેથોન ઓપરેશન કરવામાં આવ્યું હતું. પાટડી પીઆઈ બી.સી. છત્રાલીયાએ જણાવ્યું કે, ઈજાગ્રસ્ત સલીમભાઈ કાદીના શરીરમાંથી 60 જેટલા છરા કાઢવામાં આવ્યા છે, જે કબજે લેવામાં આવશે. પાટણના બાસપા ગામેથી ઝડપાયેલા આરોપી સિરાજખાન ભાણજીખાન જતમલેકને પાટડી કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી, પરંતુ કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી સામે ગેરકાયદે બંદૂક વડે ફાયરિંગ કરવાનો પણ ગુનો નોંધાયો છે. આ કેસની વધુ તપાસ પીઆઈ બી.સી. છત્રાલીયા ચલાવી રહ્યા છે. આ પણ વાંચો-પાટડીના ખારાઘોડામાં બાર બોરની બંદૂકથી ફાયરિંગ

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 8:26 pm

AMC કમિશનરની સૂચના:શહેરમાં પ્રોજેક્ટના કામોમાં કાયદાકીય-આર્થિક બાબતોનું નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોજેક્ટના બાંધકામના કામો તેમજ ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ (0M)/સુવિધાના કામો માટેના નવા ટેન્ડર બનાવવા માટે અલગ-અલગ અંદાજ તૈયાર કરવામાં આવશે. ખાસ કરીને કોઈપણ સુવિધા-કામોના વર્ક કોન્ટ્રાક્ટ અને કમ્પોઝીટ સપ્લાય કોન્ટ્રાક્ટ માટે નવા ટેન્ડર બનાવતી વખતે ધ્યાનમાં રાખવા માટેના મુદ્દા અંગે કમિશનરે પરિપત્ર કરીને કેટલીક સૂચનાઓનો અમલ કરવા માટે જણાવ્યું છે. AMCની કામગીરીને અસર ન પડે તેમજ AMCને આર્થિક નુકસાન ન થાય અને કાયદાકીય પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે બાબતોને ધ્યાનમાં રાખીને નવા ટેન્ડર બનાવવા જણાવ્યું છે. મ્યુ. કમિશનરે પરિપત્ર જાહેર કર્યોમ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, નવા ટેન્ડરોમાં મટિરિયલ અને લેબર કામના સંબંધિત વિભાગ-પ્રોજેક્ટના અધિકારીએ નિર્માણ-બાંધકામ અને OM કામ માટે અલગ-અલગ અંદાજ તૈયાર કરવાની બાબતને પ્રાથમિકતા આપવાની રહેશે. GST એક્ટ અંતર્ગત માલસામાનનો પૂરવઠો અને સેવાઓ સંયુક્ત હોય (કોમ્પોઝિટ સપ્લાય ઓફ ગુડ્ઝ એન્ડ સર્વિસ)માં માલના પુરવઠાની કિંમત, કેન્દ્ર અને રાજ્ય સરકાર, સ્થાનિક સત્તામંડળ અને સરકારી સંસ્થા, પાલિકા-પંચાયતને સોંપવામાં આવેલા કામના સંબંધમાં સંયુક્ત પૂરવઠાની કુલ કિંમતના 25 ટકાથી વધુ કિંમત ન થવી જોઈએ. GSTની બાબતોને પણ ધ્યાનમાં રાખવા સૂચનાકોન્ટ્રાક્ટર દ્વારા પ્રોજેક્ટની કામગીરી પૂરી કરવામાં આવ્યા પછી તે જ પ્રોજેક્ટ માટે OMની કામગીરી હાથ ધરવાનું હોય તેવા કિસ્સામાં પ્રોજેક્ટના નિર્માણ કામ, OM કામ માટે અલગ-અલગ અંદાજ તૈયાર કરવાનો રહેશે. GST નોટિફિકેશન અને ગાઈડલાઈનને અનુસરીને કરવામાં આવેલા આ પરિપત્ર બાબતે વધુ સ્પષ્ટતા માટે નાણાં વિભાગનો સંપર્ક કરવો. ખાસ અર્બન ડેવલોપમેન્ટ સેલની રચનાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેર વિકાસની ગતિ વધારવા માટે અર્બન ડેવલોપમેન્ટ યર 2025-26 અંતર્ગત ખાસ અર્બન ડેવલોપમેન્ટ સેલની રચના કરી છે. સેલનું કાર્ય શહેરના છ મુખ્ય પીલરમાં આવતાં તમામ પ્રોજેક્ટ્સ-સેવાની ડિલિવરી, નાગરિક જોડાણ, ગવર્નન્સ સુધારણા, સ્વચ્છ-હેલ્થી પર્યાવરણ, સસ્તું હાઉસિંગ અને મોબિલિટીનું સુનિયંત્રિત મોનિટરિંગ કરવાનો છે. મુખ્યત્વે આ સેલમાં કોર્પોરેશનના નાણા વિભાગ અને પ્લાનિંગ વિભાગને કામગીરી કરવાની રહેશે. કોર્પોરેશનના તમામ વિભાગના અધિકારીઓને અલગ-અલગ જવાબદારી સોંપવામાં આવી છે. મ્યુ. કમિશનરને દર અઠવાડિયે પ્રગતિ રિપોર્ટ રજૂ કરાશેદરેક પીલર માટે નોડલ ઓફિસર નિમાયા છે અને તમામ વિભાગોને દર સોમવારે OneDrive પર પ્રોજેક્ટ અપડેટ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનરને દર અઠવાડિયે પ્રગતિ રિપોર્ટ રજૂ કરાશે. આ સેલ હેઠળ ફાયર સ્ટેશન, હેલ્થ સેન્ટર, અંગણવાડી, ગાર્ડન, સ્પોંજ પાર્ક, રોડ, ફ્લાયઓવર, પાણી, ડ્રેનેજ નેટવર્ક, રેન વોટર હાર્વેસ્ટિંગ, PMAY હાઉસિંગ અને ડિજિટલ ગવર્નન્સ જેવા નાગરિક કેન્દ્રિત પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 8:10 pm

ટંકારાના જીવાપર ગામે 60 ફૂટ કૂવામાં સગીરનું મોત:વાડીના કૂવામાં પડી જવાથી બાળકનું ડૂબી જતાં મૃત્યુ

ટંકારાના જીવાપર ગામે વાડી વિસ્તારમાં એક કરુણ ઘટના બની છે. અહીં 60 ફૂટ ઊંડા કૂવામાં પડી જવાથી એક સગીર બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. ફાયર વિભાગની ટીમે બાળકનો મૃતદેહ બહાર કાઢી પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ટંકારા તાલુકાના જીવાપર ગામે વાડી વિસ્તારમાં આવેલા કૂવામાં સગીર બાળક જયદીપ મહેશભાઈ ભાભોર કોઈ કારણોસર પડી ગયો હતો. આ ઘટનાની જાણ મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને થતાં ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ટીમે ખાટલાની મદદથી કૂવામાંથી બાળક જયદીપનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. ફાયર વિભાગના અધિકારી જયેશભાઈ ડાકી પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક બાળકનું નામ જયદીપ મહેશભાઈ ભાભોર છે. આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાની નોંધ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 8:09 pm

ભાયલીમાં 13 કરોડના ખર્ચે તૈયાર 130 આવાસનું ટૂંક સમયમાં લોકાર્પણ:2657 આર્થિક રીતે નબળા વર્ગના લોકોને લાભ મળશે, આવાસમાં બે રૂમ, રસોડું, સંડાસ-બાથરૂમનો સમાવેશ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત ભાયલી વિસ્તારમાં 130 આવાસોનું નિર્માણ પૂર્ણ થયું છે. આ આવાસોનું ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે અને લાભાર્થીઓને સોંપવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકાના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા રૂ. 13.59 કરોડના ખર્ચે ટી.પી. 1, એફ.પી. 996 અને એફ.પી. 116 ખાતે EWS-2 પ્રકારના આ 130 આવાસો બનાવવામાં આવ્યા છે. દરેક આવાસ 40 ચોરસ મીટર કાર્પેટ એરિયા ધરાવે છે, જેમાં બે રૂમ, રસોડું, સંડાસ અને બાથરૂમનો સમાવેશ થાય છે. આવાસોની ફાળવણી ડ્રો દ્વારા ટૂંક સમયમાં કરાશેઆવાસોમાં આધુનિક સુવિધાઓ જેવી કે, ફાયર સેફ્ટી, રેઈન વોટર હાર્વેસ્ટિંગ, સોલાર સિસ્ટમ, લિફ્ટ અને ડી.જી. સેટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. બાળકો માટે ગાર્ડન તથા રમતગમતના સાધનો પણ લગાવવામાં આવ્યા છે. લાભાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજીઓ મેળવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આવાસોની ફાળવણી ડ્રો દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવશે. 2657 આર્થિક રીતે નબળા વર્ગના લોકોને લાભ મળશેદરેક લાભાર્થીએ રૂ. 5.50 લાખનો ફાળો ભરવાનો રહેશે. આ યોજના હેઠળ શહેરમાં અત્યાર સુધીમાં 2527 આવાસો પૂર્ણ કરી લાભાર્થીઓને સોંપવામાં આવ્યા છે. આ 130 આવાસો સાથે કુલ 2657 આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ના લોકોને લાભ મળશે. યોજનાનો લાભ લેવા રૂ. 3 લાખની વાર્ષીક આવક મર્યાદીતવાર્ષિક કૌટુંબિક આવક રૂ. 3 લાખ સુધીના શહેરીજનો આ યોજનાનો લાભ લઈ શકશે. અરજી સાથે રૂ. 3 લાખ સુધીની આવકનો દાખલો અથવા 3 વર્ષનું આઈટીઆર, કુટુંબના તમામ સભ્યોના આધારકાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુક, લાઈટબિલ જેવા દસ્તાવેજો જરૂરી રહેશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ યોજના શહેરી ગરીબોને પોસાય તેવા આવાસ પૂરા પાડવાના ઉદ્દેશથી અમલમાં મૂકવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 8:03 pm

ચોથી વાર ડ્રગ્સ ડિલિવરી કરવા જતો રીઢો પેડલર ઝડપાયો:ક્રાઈમ બ્રાન્ચે અમીષા ચાર રસ્તા પરથી 2.670 ગ્રામ MD ડ્રગ્સ સહિત 6 લાખની મત્તા કબજે કરી

સુરત ક્રાઈમ બ્રાન્ચે નશાના કારોબાર સામે ઝુંબેશ ચલાવી વધુ એક સફળ કાર્યવાહી કરી છે. અમીષા ચાર રસ્તા પાસેથી MD ડ્રગ્સની ડિલિવરી કરવા જતા બે શખ્સોને ક્રાઈમ બ્રાન્ચની ટીમે પકડી પાડ્યા હતા. પકડાયેલા બે આરોપીઓ પૈકી મુખ્ય આરોપી મોહમ્મદ જુનેદ ઉર્ફે સાહિલ કડિયાનું ગુનાહિત બેકગ્રાઉન્ડ પોલીસ માટે પણ આશ્ચર્યજનક છે, કારણ કે તે અગાઉ ત્રણ વખત ડ્રગ્સના ગુનામાં ઝડપાઈ ચૂક્યો હોવા છતાં ચોથી વખત પકડાયો છે. ડ્રગ્સ વેચાણના ગુનામાં સંડોવાયેલો પેડલર ઝડપાયોક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને બાતમી મળી હતી કે, મોમના વાડમાં રહેતો અને અગાઉ ડ્રગ્સ વેચાણના ગુનામાં સંડોવાયેલો મોહમ્મદ જુનેદ ઉર્ફે સાહિલ કડિયા તેના સાગરિત સાથે ફોર વ્હીલ ગાડી લઈ સુરત રેલ્વે સ્ટેશન તરફથી ડિલિવરી આપવા જવાનો છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક અમીષા ચાર રસ્તા પર વોચ ગોઠવી હતી. કાર આવતા જ પોલીસે કોર્ડન કરીબાતમીવાળી કાર આવતા જ પોલીસે તેને કોર્ડન કરીને રોકી હતી. કારમાં સવાર બે શખ્સોની પૂછપરછ કરતાં તેમની ઓળખ મોહમદજુનેદ ઉર્ફે સાહિલ કડિયા (ઉં.વ. 28, રહે. રૂસ્તમપુરા) અને તેના સાગરિત મોહમદસલમાન સુહેલઅહેમદ શેખ (ઉં.વ. 31, રહે. રામપુરા) તરીકે થઈ હતી. ચોથી વખત પકડાયો રીઢો ગુનેગારપોલીસ તપાસમાં જે વિગતો સામે આવી તે જુનેદના ઈરાદા સ્પષ્ટ કરે છે. આરોપી જુનેદ એક રીઢો ડ્રગ્સ પેડલર છે. અગાઉ પણ તે ડ્રગ્સની ડિલિવરી આપવા જતાં ભેસ્તાન, વેસુ અને રાંદેર પોલીસ સ્ટેશનના હાથે એમ ત્રણ વખત પકડાઈ ચૂક્યો છે. આટલા ગુનાહિત ઇતિહાસ છતાં તેણે ફરીથી નશાનો વેપલો શરૂ કર્યો હતો. 6 લાખનો મુદ્દામાલ કબજેપોલીસે બંને આરોપીઓની અંગજડતી અને કારની તલાશી લેતા મોહમ્મદ જુનેદ પાસેથી 48,000 રોકડા અને MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાર્યવાહી દરમિયાન કુલ 26,700ની કિંમતનું 2.670 ગ્રામ MD ડ્રગ્સ, 48,500 રોકડ, ફોર વ્હીલ કાર અને 4 મોબાઈલ સહિત કુલ ₹6 લાખની મત્તા કબજે કરી છે. NDPS એક્ટ હેઠળ ગુનોક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે અને આ ડ્રગ્સના નેટવર્કની ચેઇન તોડવા માટે વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 8:02 pm

બિહારમાં NDAની જીતનો મહીસાગરમાં ભાજપ કાર્યકરોએ વિજય ઉત્સવ મનાવ્યો:પૂર્વ શિક્ષણ મંત્રી ડો. કુબેર ડિંડોર પણ ઉજવણીમાં જોડાયા

બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAને મળેલી બહુમતી જીત બાદ મહીસાગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો. સંતરામપુર ખાતે પૂર્વ શિક્ષણ મંત્રી ડો. કુબેર ડિંડોર પણ આ ઉજવણીમાં જોડાયા હતા. ભાજપના કાર્યકરો અને નેતાઓએ સંતરામપુરના પ્રતાપપુરા ચોક, માંડવી ચોક ખાતે ફટાકડા ફોડી અને ઢોલ-નગારા વગાડીને ખુશી વ્યક્ત કરી હતી. બિહાર ચૂંટણીના પરિણામોને કારણે સમગ્ર જિલ્લામાં ભાજપ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. NDAના ભવ્ય વિજયને પગલે પાર્ટીના દરેક કાર્યક્રમમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 7:55 pm

માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક સામે ACBમાં ગુનો નોંધાયો:37.05 લાખની અપ્રમાણસર મિલકત મળી, એસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

મહેસાણા લાંચ રૂશ્વત બ્યુરો (ACB) દ્વારા માર્ગ અને મકાન વિભાગના એક નાયબ કાર્યપાલક અધિકારી સામે અપ્રમાણસર મિલકત ધરાવવા બદલ ગુન્હો નોંધવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર મહેસાણા ACBએ માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ડી. આર. પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. 37.05 લાખની અપ્રમાણસર મિલકતઆ ગુન્હો તેમની આવકના કાયદેસરના સ્ત્રોત કરતાં વધુ સંપત્તિ ધરાવવા બદલ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં ડી.આર. પટેલની 31 ડિસેમ્બર 2022 સુધીના સમયગાળાની તપાસ કરવામાં આવી હતી. જેમાં તેમની પાસે કુલ ₹37,05,517 (સતત્રીસ લાખ પાંચ હજાર પાંચસો સત્તર રૂપિયા) ની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. એસીબીમાં ફરિયાદ નોંધાઈઆ અંગેની ફરિયાદ મહેસાણા ACB પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. ચાવડા દ્વારા નોંધાવવામાં આવી છે. ACBએ હવે આ મામલે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 7:55 pm

Editor's View: દરિયામાં તરતું વોર સિટી:ફાઇટર જેટને ઊડવા ફોલ્ડિંગ રનવે ઊંચો થાય, ચીનનું જહાજ ભારત માટે ખતરો, ડિફેન્સમાં સુપર પાવર બનવા દુનિયામાં હોડ

ડિફેન્સમાં બાદશાહ એ જ દેશ છે જેની પાસે સૌથી તાકતવર વોરશિપ હોય, સૌથી તાકતવર એર ડિફેન્સ સિસ્ટમ હોય, સૌથી તાકતવર બોમ્બર પ્લેન હોય. અત્યારે દરેક દેશ એ બતાવવા માગે છે કે ડિફેન્સની બાબતમાં અમે જ સૌથી શક્તિશાળી છીએ. ઉત્તર કોરિયા હોય, રશિયા હોય કે અમેરિકા, ચીન હોય કે ભારત, કોઈપણ દેશ આ બાબતમાં પાછળ રહેવા માગતો નથી. આજે દુનિયાના દેશોની ડિફેન્સ તાકાતની વાત... નમસ્કાર, રશિયાએ તાકાત બતાવવા ન્યુક્લિયર મિસાઈલનો ટેસ્ટ કર્યો તો અમેરિકાએ પણ આવું જ કર્યું. ચીને સૌથી તાકતવર એરક્રાફ્ટ વોરશિપ ફૂજિયાનને પોતાની નેવીમાં સામેલ કર્યું. ભારતની બ્રહ્મોસ મિસાઈલનો દુનિયામાં ડંકો વાગ્યો છે અને ભારત પણ એર ડિફેન્સ સિસ્ટમમાં પાવરફૂલ બની ગયું છે. જે રીતે ઈઝરાયલે આયરન ડોમ સિસ્ટમ બનાવી છે તે રીતે અમેરિકા ગોલ્ડન ડોમ સિસ્ટમ બનાવે છે. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન તો પાગલ થઈને ન્યુક્લિયર ટેસ્ટ કર્યા કરે છે. ચીનના બેડાંમાં સામેલ થયું સૌથી તાકતવર જહાજ ફૂજિયાનફૂજિયાન એ ચીનનું અત્યાર સુધીનું ત્રીજું અને સૌથી શક્તિશાળી એરક્રાફ્ટ કેરિયર છે. તેનું વજન ભારતના બે INS વિક્રાંત જેટલું છે. ફૂજિયાન વોરશિપની વિશેષતા ફૂજિયાન એ સમુદ્રમાં તરતું વોર સિટી છે. જે તેની સાથે એક ડઝનથી વધુ ફાયટર પ્લેન, હેલિકોપ્ટરો અને મિસાઈલો લઈને દરિયા પર તરી શકે છે. આ ચીનની પહેલી એવી વોર શિપ છે જેમાં કૈટા પલ્ટ લોન્ચ સિસ્ટમ છે જે અત્યાર સુધી માત્ર અમેરિકાના જ જહાજોમાં હતી. કૈટા પલ્ટ સિસ્ટમ એ છે જેમાં ફાયટર પ્લેનને ઊડવાનો રસ્તો ફોલ્ડીંગ હોય છે. પ્લેનને ઊડવું હોય તો શિપ પરનો રસ્તો આગળથી ઢાળવાળો ઓટોમેટિક ઊંચો થઈ જાય છે એટલે ફાયટર પ્લેન 250 કિલોમીટરની સ્પીડે ઊડાન ભરી શકે છે. આમાં પાવરફૂલ એલાર્મિંગ સિસ્ટમ છે. સ્ટીલ્થ બોમ્બ અને ડ્રોન ઊડી શકે તેવી વ્યવસ્થા પણ છે. ચીનનો જિયોપોલિટિકલ મેસેજફૂજિયાન એ ચીનનું જહાજ જ નથી પણ જિયોપોલિટિકલ મેસેજ છે. ચીનની નેવી હવે હિન્દ મહાસાગર, દક્ષિણ આફ્રિકા કિનારા દક્ષિણ અમેરિકા સુધી પહોંચી શકે છે. ફૂજિયાન શિપ પર ચીન J-35A સ્ટીલ્થ ફાયટર જેટ તહેનાત કરવાની તૈયારીમાં છે. આ શિપ પર લોન્ગ રેન્જ એન્ટી શિપ મિસાઈલ તહેનાત છે. આ જહાજથી ચીન ભારત પર કોઈપણ ખૂણેથી નજર રાખી શકે છે અને આ જ ભારત માટે જોખમ છે. ભારત માટે અત્યારે બે એરક્રાફ્ટ કેરિયર છે INS વિક્રમાદિત્ય અને INS વિક્રાંત. આ બંનેના વજન 45 હજાર ટન છે. એટલે ફૂજિયાનથી અડધું વજન. ભારતે હવે 80 હજાર ટન વજનથી વધારેનું જહાજ બનાવવું પડશે. કારણ કે 90 હજાર ટન કે તેનાથી વધુનું વજન હોય તો જ કૈટા પલ્ટ લોન્ચ સિસ્ટમ બની શકે છે. ફૂજિયાનનું ચીનની નેવીમાં સામેલ થવું એ ગ્લોબલ નેવલ ટર્નિંગ પોઈન્ટ છે. દુનિયામાં ભારતની બ્રહ્મોસ મિસાઈલનો ડંકોભારત અને તેની વોર ટેકનોલોજીનું નામ આવે ત્યારે બ્રહ્મોસ મિસાઈલનું નામ પહેલાં આવે. ફિલિપિન્સ બ્રહ્મોસ ખરીદનારો પહેલો દેશ બન્યો. હવે ઈન્ડોનેશિયા, વિયેતનામ જેવા દેશો પણ બ્રહ્મોસ ખરીદવા માટે તત્પર છે. ઘણાને ભય છે કે અમેરિકા અને ફિલિપિન્સ વચ્ચે ડિફેન્સ સમજૂતી છે અને તેના હેઠળ જો ફિલિપિન્સ બ્રહ્મોસ મિસાઈલની માહિતી અમેરિકાને આપી દેશે તો? આ સવાલના જવાબમાં રશિયાની NPO કંપનીએ કહ્યું કે, આ મિસાઈલની ટેકનિકને દુનિયાનો કોઈ દેશ આજ સુધી સમજી શક્યો નથી. હવે રશિયાની સહયોગી કંપની NPO કોર્પોરેશનને એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે અમેરિકાના વૈજ્ઞાનિકો પણ વિચારતા થઈ ગયા છે. NPOએ દાવો કર્યો છે કે અમેરિકાના તમામ વૈજ્ઞાનિકો મળીને ભારતની બ્રહ્મોસ મિસાઈલનું અલ્ગોરિધમ કે કોર ટેકનોલોજી બ્રેક કરી શકે નહિ. બ્રહ્મોસનું મલ્ટીલેયર સિક્યોરિટી ફ્રેમવર્ક જ એવું છે કે કોઈપણ સુપર કોમ્પ્યુટર પણ તેને ક્રેક કરી શકે તેમ નથી. જોકે ભારત પણ ઓછું નથી. તેમણે ફિલિપિન્સને મિસાઈલ વેચતી વખતે એવું એગ્રીમેન્ટ કર્યું છે કે આ મિસાઈલની ટેકનોલોજી કોઈ ત્રીજા દેશને આપી શકાશે નહિ. જો આવું થયું તો એ રાજનીતિક અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાશે, એટલે ફિલિપિન્સ બંધાઈ ગયું છે. માનો કે કોઈ દેશે બ્રહ્મોસ મિસાઈલને ખોલીને તેની ટેકનોલોજી જાણવાની કોશિશ કરી તો મિસાઈલ આપોઆપ લોક થઈ જશે. જો આવું થયું તો ભારત જ તેને ફરી એક્ટિવ કરી શકે છે.બહ્મોસ મિસાઈલનું નામ ભારતની નદી બ્રહ્મપુત્રા અને રશિયાની નદી મોસ્કોવા પરથી અપાયું છે. આ ટેકનોલોજી ભારત અને રશિયાની સહયોગથી બની છે પણ હવે તેની સોફ્ટવેર ટેકનોલોજી અને કંટ્રોલ-ગાઈડેડ સિસ્ટમ સંપૂર્ણ ભારતની બનેલી છે. બ્રહ્મોસને ભૂમી, જમીન અને વાયુ ત્રણેય જગ્યાએથી લોન્ચ કરી શકાય છે. રશિયા-અમેરિકા ન્યુક્લિયર પાવર કન્ટ્રી બનવા માગે છેરશિયા : રશિયાએ વિશ્વની પહેલી પરમાણુ સંચાલિત ક્રૂઝ મિસાઇલ, બુરેવસ્ટનિક-9M739 નો સફળ ટેસ્ટ કર્યો. એવો દાવો કરવામાં આવે છે કે આ મિસાઇલ અમર્યાદિત રેન્જ ધરાવે છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વિડીયો કોન્ફરન્સથી વિશ્વને જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે બધા ટેસ્ટ પૂરા થઈ ગયા છે. વિશ્વના કોઈ પણ દેશ પાસે આવી મિસાઇલ નથી. ઘણા નિષ્ણાતો અગાઉ માનતા હતા કે આવા હથિયારો ન બની શકે પરંતુ તે વાસ્તવિકતા બની ગઈ છે. કોઈ ડિફેન્સ સિસ્ટમ તેને રોકી શકતી નથી. ટેસ્ટ દરમિયાન બુરેવસ્ટનિક મિસાઈલે લગભગ 15 કલાક ઊડાન ભરી, 14,000 કિલોમીટરનું અંતર કાપ્યું. આ મિસાઈલ છોડવા કે દૂર સુધી મોકલવા માટે એન્જિન ઓઈલની જરૂર નથી. તેને પરમાણુ રિએક્ટરથી ઓપરેટ કરી શકાય છે. રશિયાની આ મિસાઈલને રોકવામાં તમામ ડિફેન્સ સિસ્ટમ નિષ્ફળ જાય છે. આ મિસાઇલ લોન્ચ કરવા માટે સોલિડ-ફ્યુઅલ રોકેટ બૂસ્ટરનો ઉપયોગ કરે છે. લોન્ચ થયા પછી, તેનું ન્યુક્લિયર રિએક્ટર સક્રિય થાય છે, અને પછી તે ન્યુક્લિયર પાવર પર ચાલે છે. અમેરિકા : રશિયા ન્યુક્લિયર પાવર બની જાય એ પોસાય નહિ, એટલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવી ગુગલી નાખી. તેમણે કહ્યું કે રશિયા, ચીન, ઉત્તર કોરિયા, પાકિસ્તાન પણ ચૂપચાપ ન્યુક્લિયર વેપનનો ટેસ્ટ કરે છે. અમે પણ આવું કરીશું. તરત જ તેમણે પેન્ટાગોનને આદેશ આપી દીધો. બધાને એમ કે અમેરિકા ન્યુક્લિયર ટેસ્ટ કરશે તો તેને સમય લાગશે પણ ટ્રમ્પની જાહેરાતના ત્રણ જ દિવસમાં અમેરિકાએ મિનિટમેન-3 ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ છોડી. અન્ય ખંડોમાં પરમાણુ શસ્ત્રો લઈ જવા સક્ષમ આ બેલિસ્ટિક મિસાઇલનું ટેસ્ટિંગ સફળ રહ્યું. આ મિસાઇલ પરિક્ષણનું કોડનેમ GT-254 હતું. આ મિસાઇલ માર્શલ આઇલેન્ડ્સમાં લશ્કરના રોનાલ્ડ રીગન બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ ટેસ્ટ સાઇટ નજીક પડી હતી. મિનિટમેન-3 ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને અમેરિકાની ડૂમ્સ-ડે મિસાઇલ તરીકે ઓળખવામાં આવે છે. ડૂમ્સ-ડે એટલે કયામતના દિવસની મિસાઈલ. આ મિસાઈલથી પરમાણુ યુદ્ધની સ્થિતિમાં અમેરિકાનો પ્રભાવ વધશે. આ મિસાઈલ એક કલાકમાં 15 હજાર માઈલનું અંતર કાપી શકે છે. ઉત્તર કોરિયા ઉપરવટ જઈને ન્યુક્લિયર ટેસ્ટ કરતું રહ્યું છેઉત્તર કોરિયા પાસે ન્યુક્લિયર હથિયારોનો ભંડાર છે. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન મન પડે ત્યારે ન્યુક્લિયર ટેસ્ટ કરતા રહે છે. આનો વિરોધ દુનિયા તો કરે જ છે પણ સૌથી વધારે વિરોધ અમેરિકા કરતું રહ્યું છે. ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચેના સંબંધો અસ્થિર રહ્યા છે. થોડા સમય પહેલાં ટ્રમ્પ અને કિમ જોંગ ઉન મળ્યા હતા. બંને મળ્યા પછી અમેરિકા એવું ઈચ્છતું હતું કે હવે કિમ જોંગ ન્યુક્લિયર બેલેસ્ટિક મિસાઈલનું પરિક્ષણ નહિ કરે. પણ ટ્રમ્પ અમેરિકા પહોંચ્યા ને આ તરફ ઉત્તર કોરિયાએ તરત ન્યુક્લિયર બેલેસ્ટિક મિસાઈલનો ટેસ્ટ કર્યો. આ તેનો છઠ્ઠીવાર ન્યુક્લિયર મિસાઈલ ટેસ્ટ હતો. ઉત્તર કોરિયા અમેરિકા જ નહિ, કોઈપણ દેશથી દબાયા વગર મન પડે ત્યારે જાતજાતના ન્યુક્લિયર ટેસ્ટ કર્યા કરે છે. ક્યા દેશ પાસે કઈ મિસાઈલ? રશિયાએ ધમકી આપી કે, અમેરિકા ટોમહોક મિસાઈલ છોડશે તો જોવાજેવી થશેઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાને ધમકી આપી ચૂક્યા છે કે યુક્રેન યુદ્ધ બંધ કરો નહિતર તમારા પર ટોમાહોક મિસાઈલ છોડી દઈશું. પુતિન પણ ગાંજ્યા જાય તેમ નથી. તેમણે ટ્રમ્પને ધમકી આપી કે રશિયા પર અમેરિકા ટોમાહોક મિસાઈલથી હુમલો કરશે તો જોયાજેવી થશે. ટ્રમ્પ સરકાર હવે યુક્રેનને ટોમાહોક મિસાઇલો સપ્લાય કરવાનું વિચારી રહ્યું છે. ટોમાહોક મિસાઇલો 2,500 કિમીની રેન્જ ધરાવે છે. જો યુક્રેનને આ મિસાઇલો મળે છે, તો તે રશિયાની રાજધાની મોસ્કોને નિશાન બનાવી શકે છે. કેવી છે ટોમહોક મિસાઈલ ભારત પણ તાકાત વધારી રહ્યું છેઅમેરિકાનું સુપર ફાસ્ટ B-1 લાન્સર બોમ્બર હવે ભારત આવી શકે છે. અમેરિકા-ભારત વચ્ચે ડિફેન્સ ડિલ હેઠળ એવું નક્કી થયું છે કે આવનારા એક-બે મહિનામાં જ અમેરિકાનું B-1 લેન્સર ભારતની ધરતી પર ઉતરશે. અમેરિકાનું આ બોમ્બર વિમાન ખતરનાક છે અને તેને બિસ્ટ ઓફ ધ સ્કાય કહે છે. દક્ષિણ ભારતમાં અમેરિકા-ભારત વચ્ચે મેગા જોઈન્ટ ડ્રીલ થવાની છે તેમાં ભાગ લેવા આ બોમ્બર વિમાન આવશે. આની સ્પીડ એટલી છે કે કોઈ ફાયટર વિમાન તેનો પીછો કરી શકે નહિ. આ પ્લેન 60 ટન સુધીના બોમ્બ પોતાની સાથે લઈ જઈ શકે છે અને તેજ ગતિથી નીચે ફેંકી શકે છે. ભારતનો પ્રોજેક્ટ વિષ્ણુ, પાવરફુલ હાયપરસોનિક મિસાઈલભારત એવા પ્રોજેક્ટ પર કામ કરે છે કે જેમાં એવી મિસાઈલ બનાવવામાં આવશે જે 10 હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઊડી શકશે. આ હાઈપરસોનિક ક્રૂઝ મિસાઈલ પ્રોજેક્ટ છે જે સ્ક્રેમજેટ એન્જિન ટેકનિક પર આધારિત છે. આ પ્રોજેક્ટનો પ્રસ્તાવ કેબિનેટ કમિટિ ઓન સિક્ટોરિટી એટલે કે CCSની સામે મૂકવામાં આવ્યો છે. DRDOએ આના માટે વિશેષ થર્મલ પ્રોજેક્શન સિસ્ટમ તૈયાર કરી છે. કારણ કે મિસાઈલ ઊડે ત્યારે તેનું તાપમાન 2 હજાર ડિગ્રી સેલ્સિયશ સુધી પહોંચી જાય છે. એટલે મિસાઈલનું બોડી ટાઈટેનિયમથી બનાવાશે. છેલ્લેરશિયા અને યુક્રેનને અડીને આવેલા દેશ પોલેન્ડે નાટોને આડેહાથ લીધું. પોલેન્ડના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ કારોલ નવરોકીએ એવું કહ્યું કે દુનિયા હાઈપરસોનિક મિસાઈલથી કેમ બચવું તે વિચારે છે તો ભારતે એર ડિફેન્સ સિસ્ટમ ડેવલપ કરી લીધી છે. નાટો દેશોએ ભારત પાસેથી ઘણું શીખવા જેવું છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ... સોમવારે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચઃ યશપાલ બક્ષી)

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 7:55 pm

સાબરમતી નદી પ્રદૂષણ સૂઓમોટો અરજી પર હાઈકોર્ટની AMCને ટકોર:હાઇકોર્ટે કહ્યુું, તમે ઇસ્યૂ ડાયવર્ટ કરો છો, લોંગ ટર્મ પ્લાન પર કામ થતું નથી, ઔધોગિક એકમો કેવી રીતે પ્રદૂષિત પાણીનો નિકાલ કરે તે જણાવો

સાબરમતી નદી પ્રદૂષણ અંગેની સૂઓમોટો અરજી ઉપર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનવણી યોજાઇ હતી. જેમાં કોર્ટે સરકારી વકીલને જૂના પીરાણા ખાતે આવેલ બે STP પ્લાન્ટ એક 106 MLD અને 60 MLD વર્તમાન NGT નોર્મ્સ મુજબ કામ કરે છે કે કેમ તે અંગે પૂછ્યું હતું. AMCએ જણાવ્યું હતું કે ટુંકા અને મધ્યમ ગાળાના સોલ્યુશન પૂર્ણ થઈ ચૂક્યા છે. હવે પ્લાન્ટને અપગ્રેડ કરવા લાંબા ગાળાના સોલ્યુશનની જરૂર છે. બંને પ્લાન્ટ વર્ષ 2005 અને 2010 બન્યા હતાં. ત્યારના તે શ્રેષ્ઠ ટેકનોલજી મુજબ બનેલા પ્લાન્ટ હતા. NGTના નવા સ્ટાન્ડર્ડ 2018 મુજબના છે, એટલે તે મુજબ ટ્રીટમેન્ટ કરતાં નથી. 'જૂના પીરાણાના 02 STP પ્લાન્ટનું અપગ્રેડેશન આર્થિક રીતે યોગ્ય નથી'સરકારી વકીલે ટર્શીયરી પ્લાન્ટ અંગે વાત કરતા હાઇકોર્ટે કહ્યું હતું કે, STP અપગ્રેડ કરવા અલગ વસ્તુ છે. AMCએ કહ્યું હતું કે જુના પીરાણાના 02 STP પ્લાન્ટનું અપગ્રેડેશન આર્થિક રીતે યોગ્ય નથી. 30 સપ્ટેમ્બરના રોજ યોજાયેલ મિટિંગમાં 200 MLD અને 150 MLD TTP પ્લાન્ટ બનાવવાનું નક્કી થયું છે. 16માંથી જૂના પીરાણાના 02 STP અપગ્રેડ કરવામાં મોડું થઈ રહ્યું છે. જૂનાને અપગ્રેડ કરાશે અને નવા STP બનશે. 'નવા પ્લાન્ટ બનતા વર્ષો લાગશે, તો આવનારા 05 વર્ષમાં શું કરશો ?'કોર્ટે પૂછ્યું હતું કે નવા પ્લાન્ટ બનતા વર્ષો લાગશે, તો આવનારા 05 વર્ષમાં શું કરશો ? કોર્ટ સાથે સંતા કુકડીની રમત રમો નહીં. તમે વર્તમાન પ્લેને અપગ્રેડ કરવા માગતા નથી. AMCએ કહ્યું હતું કે, તેના માટે IIT RAMની મદદ લેવાઈ રહી છે. દિવાળી પછી કામગીરી શરૂ કરાઈ છે. બાયો રેમેડિયેશનથી 960 MLD પાણી ટ્રીટ કરાયા છે. 03 નવા STP 2030 સુધીમાં બનશે, જેની કેપેસિટી 400 MLD હશે. શહેરના સૌથી મોટા STP વીંઝોલનું કામ 05 ટકા થયું છે. 25 MLD ડફનાળા અને 65MLD કોતરપુરનું કામ ચાલુ છે. 240 MLD વાસણા STP અપગ્રેડ થઇ રહ્યા છે, 35 ટકા કામગીરી થઇ છે. 'તમે ઇસ્યૂ ડાયવર્ટ કરો છો, લોંગ ટર્મ પ્લાન પર કામ થતું નથી'કોર્ટે AMC પાસેથી નવી બ્લુ પ્રિન્ટ માંગી છે. કોર્ટે AMCના વકીલને કહ્યું હતું કે, તમે ઇસ્યૂ ડાયવર્ટ કરો છો, લોંગ ટર્મ પ્લાન ઉપર કામ થતું નથી. જૂન, 2024માં શિડયુલ થયેલા કામ હજુ પણ શરૂ નથી થયા અને AMC નવા પ્રોજેક્ટની વાત કરે છે ! કોર્ટના પ્રશ્નોના ઉતર AMC પાસે નથી. કોર્ટ મિત્રે જણાવ્યું હતું કે 07 સપ્ટેમ્બરે, 07 CETP માંથી સેમ્પલ લેવાયા હતા. જેમાં કલર દૂર કરવા ક્લોરિનનો ઉપયોગ થાય છે. પણ તે કાયમી ઉપાય નથી વળી તે જમીન માટે યોગ્ય નથી. 'ઓનલાઇન અને રેન્ડમ સેમ્પલિંગથી મોનીટરીંગ થાય છે'GPCBએ ક્લોરિનના ઉપયોગ મુદ્દે જણાવ્યું હતું કે ATIRAની મદદ લેવાઈ રહી છે, જે 25 નવેમ્બરે રિપોર્ટ આપશે. NEERI ટીમ દ્વારા ઉધોગોના ટ્રિટ કરાયેલા પાણીના ફેર ઉપયોગ અંગે કામગીરી કરાઈ રહી છે. તે CETP ઉપર પણ કામ કરશે. કોર્ટ મિત્રે જણાવ્યું હતું કે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા સપ્ટેમ્બરમાં નવું જાહેરનામું બહાર પડાયું છે. જે મુજબ CETPનું રિયલ ટાઈમ ઓનલાઇન મોનીટરીંગ થાય, કોર્ટે આ અંગે GPCBને પૂછ્યું હતું. GPCBએ જણાવ્યું હતું કે ઓનલાઇન અને રેન્ડમ સેમ્પલિંગથી મોનીટરીંગ થાય છે. મેગા પાઇપલાઇન બે મોટી ઇન્ડસ્ટ્રી અને CETP માટે છે. તે દાણીલીમડા અને બહેરામપુરાની ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાંથી નીકળતા પ્રદૂષિત પાણીનું વહન કરે છે. 'ઇન્ડસ્ટ્રીના પ્રદૂષિત પાણીના નિકલ માટે શું વ્યવસ્થા છે?'કોર્ટે પૂછ્યું હતું કે બીજી ઇન્ડસ્ટ્રીના પ્રદૂષિત પાણીના નિકલ માટે શું વ્યવસ્થા છે? જેના જવાબમાં જણાવાયુ હતું કે, દરેક ઉધોગો માટે પાણી ટ્રીટ કર્યા જ બાદ સાબરમતીમાં ઠાલવવામાં આવે છે. કોર્ટે કહ્યું કે જે CETPના સભ્ય ના હોય તેમનું શું? તેનો કોઈ ચોક્કસ આંકડો નહીં હોવાનું GPCBએ જણાવ્યું હતું. આથી કોર્ટે તેનો આંકડો અને તેઓ નિયમ પાળે છે કે કેમ તે માહિતી કોર્ટ સમક્ષ મૂકવા જણાવીને વધુ સુનવણી જાન્યુઆરી મહિનામાં રાખી છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 7:45 pm

વડોદરામાં મંત્રીએ બેઠકો કરી:વડોદરામાં ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કામગીરીની સમીક્ષા કરી

રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને આજે વડોદરા સર્કિટ હાઉસ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA)ની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા સ્તરે અમલમાં રહેલી ગ્રામ વિકાસ સંબંધિત વિવિધ યોજનાઓની પ્રગતિ, કાર્યક્ષમતા અને લાભાર્થી કેન્દ્રિત સેવાઓના વિસ્તરણ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામ વિકાસ મંત્રીએ બેઠક દરમ્યાન રાજ્ય સરકાર ગ્રામ વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે તે બાબતનો ઉલ્લેખ કરી તંત્રને વિકાસ કાર્યોના ઝડપી અને પારદર્શક અમલીકરણ માટે કાર્યપ્રણાલી વધુ મજબૂત બનાવવા સૂચના આપી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાઓના વિસ્તરણ, લાભાર્થીઓ સુધી યોજનાઓનો લાભ સરળતાથી અને સમયસર પહોંચે તે માટે સતત મોનીટરીંગ રાખવા તથા સુચારુ સંકલન સાથે કાર્ય કરવાની જરૂરિયાત પર પણ મંત્રીશ્રીએ ભાર મૂક્યો હતો. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા સ્તર પર યોજનાઓના અસરકારક અમલ માટે તમામ પ્રકારનો સહકાર આપવામાં આવશે તેવી ખાતરી પણ મંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી. વડોદરા જિલ્લા વિકાસ અધિકારી મમતાબેન હિરપરાએ DRDA દ્વારા હાથ ધરવામાં આવેલા અને ચાલી રહેલા વિવિધ કાર્યો અંગે વિગતવાર અહેવાલ રજૂ કર્યો હતો. જેમાં ડોર-ટુ-ડોર સ્વચ્છતા કામગીરી, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ચાલી રહેલી પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓ, જળ સંચયનાં કાર્યો, વ્યક્તિગત તથા સામૂહિક શૌચાલયોના નિર્માણ, સખી મંડળની બહેનો દ્વારા અમલમાં મુકવામાં આવતાં સ્વાવલંબન કાર્યક્રમો, ગોબર ગેસ પ્લાન્ટોના સ્થાપન અને ઉપયોગ, વોટર પ્યુરીફાયર અને ઓટો ટ્રીટમેન્ટ પ્લાન્ટના સંચાલનની સ્થિતિ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા, પાણી સંસાધન સંરક્ષણ અને મહિલા સશક્તિકરણ જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર એચ. આર. પરીખ, DRDAના અધિકારીઓ તથા સંબંધિત વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક અંતે મંત્રીશ્રીએ આગામી સમયગાળા દરમ્યાન યોજનાઓના વધુ અસરકારક, પારદર્શક અને લાભાર્થીકેન્દ્રિત અમલ માટે તંત્રને જરૂરી સૂચનાઓ આપીને બેઠક પૂર્ણ કરી હતી. વડોદરા જિલ્લામાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુવરજી બાવળીયાની અધ્યક્ષતામાં આજે વડોદરા જિલ્લા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લામાં અમલમાં રહેલી કૌશલ્ય વિકાસ યોજનાઓ, રોજગાર મેળાઓ, તાલીમ કાર્યક્રમો અને ઉદ્યોગોને આવશ્યક માનવબળની ઉપલબ્ધતા અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. મંત્રીએ જિલ્લા સ્તરે ઇન્ડસ્ટ્રી–ઇન્સ્ટિટ્યૂટ પાર્ટનરશિપ મજબૂત કરીને યુવાનોને વધુ રોજગાર તકો પ્રાપ્ત થાય તે માટે કામગીરીને વેગ આપવા સૂચના આપી હતી. ઉપરાંત વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી સરળતાથી પહોંચે તે માટે વ્યવસ્થાઓ વધુ કાર્યક્ષમ બનાવવાની જરૂરિયાત અંગે ભાર મૂક્યો હતો. અપેન્ટિસશિપ પ્રોગ્રામ, પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના તથા રોજગાર નોંધણીની સ્થિતિ સહિત અનેક યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. ઉદ્યોગોમાં થતા અકસ્માતોના મામલાઓમાં શ્રમયોગીઓને યોગ્ય અને સમયસર વળતર મળે, અકસ્માતગ્રસ્તોને તાત્કાલિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ રહે અને સુરક્ષા વ્યવસ્થાઓ મજબૂત થાય તે માટે નિયમિત મોકડ્રીલ તથા ઇન્સ્પેક્શન કરવાની સૂચના મંત્રીશ્રીએ આપી હતી. તેમનું માનવું હતું કે ગ્રેજ્યુએટી, બોનસ વગેરે ઉદ્યોગસંબંધિત મુદ્દાઓનો સમયસર નિકાલ થવો જોઈએ અને શ્રમયોગીઓને ન્યાય મળે તે માટે કાર્યક્ષમ અભિગમ અપનાવવો જરૂરી છે.બેઠકમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગારના અધિકારીઓ ઉપસ્થીત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 7:44 pm

ઉર્જા મંત્રીની વડોદરા મુલાકાત:ઊર્જા વિભાગના વિવિધ પ્રકલ્પોનું ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા નિરીક્ષણ કર્યું, ઓટેમેશન વધારી સર્વિસ સારી કરવા સૂચન

રાજ્ય સરકારના નવા મંત્રીમંડળમાં ઊર્જા વિભાગનું દાયિત્વ સંભાળ્યા બાદ વડોદરા પહોંચેલા મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ, મધ્ય ગુજરાત વીજ કંપનીના વિવિધ પ્રોજેક્ટની મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સમગ્ર મુલાકાત દરમિયાન મંત્રીએ વીજ વિતરણથી માંડી ફરિયાદ નિવારણ સુધીના વિવિધ તબક્કાની કામગીરીમાં ઓટેમેશન વધારવા ઉપર ભાર મૂક્યો હતો. ઊર્જા મંત્રીએ તેમની મુલાકાતનો પ્રારંભ જેટકોના સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર(SLDC)થી કર્યો હતો. ઊર્જા વિભાગના વરિષ્ઠ અધિકારીઓ જેનુ દેવન, ઉપેન્દ્ર પાંડે, પ્રીતિ શર્મા, સોમેશ બંદોપાધ્યાય સહિતના અધિકારીઓ દ્વારા લોડ ડિસ્પેચ સેન્ટર દ્વારા થતી કામગીરીની માહિતી પૂરી પાડી હતી. એસએલડીસી 24 કલાક કાર્યરત રહેતું કેન્દ્ર છે. અહીં વીજળીની માંગ અને પુરવઠાને ધ્યાને રાખી ખરીદ ભાવોની સમીક્ષા સહિતનું સતત મોનિટરિંગ કરવામાં આવે છે. સમગ્ર રાજ્યમાં દિવસ રાત 24 બાય 7 વીજળીની માંગ અને પુરવઠાનું સંતુલન સતત જળવાઈ રહે તે રીતે એક જ સ્થળેથી નિયંત્રણની વ્યવસ્થા મંત્રીએ નિહાળી હતી. આ સેન્ટર ઊર્જા વિભાગના હ્રદય સમાન છે. તેમણે અહીં એનર્જી અકાઉંટિંગની વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી અને ભવિષ્યના પડકારોને પહોંચી વળવા માટે પ્રેરક સૂચનો કર્યા હતા. બાદમાં ગોત્રી સ્થિત 220 કિલોવોટ સબ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને અહીં તેમણે ટ્રાન્ફોર્મર, સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉનની પ્રક્રિયા નિહાળી હતી. તેમણે અહીં મહત્વપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી વીજસેવાઓ ખૂબ સારી બનાવવા માટે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. તદ્દઉપરાંત, ઊર્જા મંત્રીએ સુપરવાઇઝરી કન્ટ્રોલ એન્ડ ડાટા એક્વિઝીશન સેન્ટર, સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. અહીં તેમણે ઊર્જા વિભાગ દ્વારા વીજ નિયંત્રણ, પુરવઠા સંબંધિત કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટરમાં નવી અરજીઓની મંજૂરી પ્રક્રીયા, લોડ વધારવા ઘટાડવાને લગતી કામગીરી, માળખાકીય સુવિધાને લગત કામગીરી કરવામાં આવે છે. વીજ ગ્રાહકો સાથે સીધી રીતે સંકળાયેલા કસ્ટમર કેર સેન્ટરની મુલાકાતે પણ મંત્રી પહોંચ્યા હતા. કુબેર ભવન સ્થિત ગ્રાહક સેવા કેન્દ્રમાં વિવિધ પ્રકારની 14 સેવાઓ કેવી રીતે પૂરી પાડવામાં આવે છે ? કસ્ટમર કેર સેન્ટરમાં ગ્રાહકોના ટોલ ફ્રી નંબર /હેલ્પલાઈન પરના કોલ કે સોશ્યિલ મીડિયાના માધ્યમ ઇમેઇલ, વોટ્સએપ, વિગેરે થકી મળતી ફરિયાદોનું નિરાકરણ પ્રત્યક્ષ રીતે તેમણે નિહાળ્યું હતુંં. જેમાં મીટરમાં નામ બદલવા, ફોલ્ટ રેક્ટિફિકેશન કોલ, નવા વીજ જોડાણ સહિતની બાબતોથી તેઓ માહિતગાર થયા હતા. આ ઉપરાંત ગ્રાહક દ્વારા થતી ફરિયાદનું નિરાકરણ કેવી રીતે લાવવામાં આવે છે ? તેની પણ પ્રત્યક્ષ ફોન કોલ દ્વારા જાણકારી મેળવી હતી. મંત્રીએ ગ્રાહક સેવામાં ઓટેમેશન વધારી તેમાં ત્વરિત સેવાઓ કેવી રીતે આપી શકાય એ દિશામાં કામ કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. આ સાથે વીજ વિભાગ માટે ક્રાંતિકારી સાબિત થનારા વેબપોર્ટલ ઊર્જા સંવર્ધનમનું લોંચિંગ કર્યું છે. આ વેબપોર્ટલમાં વીજ ઉત્પાદનથી માંડીને ગ્રાહકો દ્વારા થતાં વીજ વપરાશ સહિતનો તમામ ડેટા સંગ્રહિત કરી ભવિષ્યની યોજનાઓનું અમલીકરણ કરવા માટે ચાવીરૂપ સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 7:40 pm

બિહારમાં NDAની જીત થતાં નવસારીમાં જશ્ન:વાંસદામાં ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ, ફટાકડા ફોડી ઉજવણી કરી

બિહારમાં NDAની જીત બાદ નવસારીના વાંસદામાં ભાજપે ઉજવણી કરી હતી. કાર્યકરોએ ફટાકડા ફોડી અને ખુશી વ્યક્ત કરી હતી. આ ઉજવણી વલસાડના સાંસદ ધવલ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. બિહારમાં વિપક્ષી મહાગઠબંધનના પ્રચાર છતાં ભાજપને 95 બેઠકો મળી હતી. સાંસદ ધવલ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસને માત્ર એક જ બેઠક મળતા દુષ્પ્રચારની રાજનીતિ નિષ્ફળ ગઈ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, બિહારની જનતાએ NDA ને વિજય અપાવ્યો છે. ધવલ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમારને આ ભવ્ય જીત બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે આશાવાદ વ્યક્ત કર્યો કે, ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં પણ વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ વધુ મજબૂત બનશે. આગામી મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં પણ ભાજપની જીત નિશ્ચિત હોવાનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. સાંસદ ધવલ પટેલે જણાવ્યું કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દુષ્પ્રચાર સામે આગામી ચૂંટણીઓમાં ગુજરાતમાં ભાજપ મજબૂતીથી વિજય મેળવશે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 7:36 pm

હળવદ-માળિયા હાઈવે પર દારૂની હેરાફેરી ઝડપાઈ:ચોખાની આડમાં 1104 બોટલ દારૂ, 600 બીયર જપ્ત, એકની ધરપકડ

મોરબી એલસીબી ટીમે હળવદ-માળિયા હાઈવે પરથી ચોખાની બોરીઓની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹59.79 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે. એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને ધ્રાંગધ્રા તરફથી આવતા એક ટ્રક ટ્રેલર (નંબર GJ 6 AV 7676)માં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે બાબા રામદેવ હોટલ પાસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ ટ્રકને રોકીને તપાસ કરી હતી. ટ્રકની તલાશી લેતા, ચોખાની બોરીઓની પાછળ છુપાવેલો 1104 બોટલ વિદેશી દારૂ અને 600 બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે દારૂ અને બીયરનો જથ્થો (કિંમત ₹15.67 લાખ) તેમજ ₹20 લાખની કિંમતનો ટ્રક સહિત કુલ ₹59.79 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ટ્રક ચાલક પ્રવીણ પગી (ઉં.વ. 40, રહે. લાકડિયા, પગીવાસ, તા. ભચાઉ, કચ્છ)ની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન સિદ્ધરાજસિંહ જાડેજા (રહે. લાકડિયા, તા. ભચાઉ)નું નામ પણ સામે આવ્યું હતું. હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 7:35 pm

પારડી હાઇવે પર 8.51 લાખનો દારૂ ઝડપાયો:પ્લાસ્ટિકની ગુણીઓની આડમાં દારૂની હેરાફેરી, બે આરોપી ઝડપાયા; એક વોન્ટેડ

પારડી હાઇવે પરથી પ્લાસ્ટિકની ગુણીઓની આડમાં છુપાવેલો રૂ. 8.51 લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે. વલસાડ એલસીબીએ આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસે કુલ રૂ. 21.12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વલસાડ એલસીબીને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પારડી નેશનલ હાઇવે નંબર 48 પર ગીરીરાજ હોટલ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. મુંબઈથી સુરત તરફ જઈ રહેલા ટેમ્પોને રોકવામાં આવ્યો હતો. ટેમ્પોની તપાસ કરતાં, તેમાં પ્લાસ્ટિકના સામાનની ગુણીઓ પાછળ વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો હતો. પોલીસે ટેમ્પોમાંથી 93 બોક્સમાં ભરેલી કુલ 3,744 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો, જેની કિંમત રૂ. 8.51 લાખ આંકવામાં આવી છે. આ ઉપરાંત, ટેમ્પોમાં ભરેલી પ્લાસ્ટિક સામાનની 180 ગુણીઓ પણ મળી આવી હતી, જેની કિંમત રૂ. 7.51 લાખ થાય છે. દારૂ, પ્લાસ્ટિકનો સામાન અને ટેમ્પો સહિત કુલ રૂ. 21.12 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. પોલીસે ટેમ્પો ચાલક વિજય માણેકભાઈ ખંડે (રહે. નવસારી) અને યોગેશ અરવિંદભાઈ ચૌધરી (રહે. તાપી)ની ધરપકડ કરી છે. દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય એક વ્યક્તિનું પૂરું નામ-સરનામું ન મળતાં તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 7:28 pm

લુણાવાડાના વિરણીયા રોડ પર પેવરપટ્ટા કામગીરીનો પ્રારંભ:સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મરામત, પ્રજાને મળશે સુવિધા

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલા વિરણીયા રોડ પર માર્ગ મરામત અને સુધારણાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મહીસાગર માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), લુણાવાડા દ્વારા આ માર્ગ પર પેવરપટ્ટાની કામગીરી હાથ ધરવામાં આવી છે. લાંબા સમયથી પ્રતિક્ષિત આ કાર્યને કારણે સ્થાનિક રહેવાસીઓ, ખેડૂતો અને માર્ગનો ઉપયોગ કરતા અન્ય મુસાફરોને સુવિધા મળશે. પેવરપટ્ટાની કામગીરી પૂર્ણ થવાથી માર્ગ વધુ સુરક્ષિત અને ટકાઉ બનશે. આનાથી મુસાફરીનો સમય ઘટશે અને અકસ્માતોનું જોખમ પણ ઓછું થશે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 7:26 pm

ટ્રક ડ્રાઇવરે પિસ્તોલ બતાવી ₹5 લાખની ખંડણી માંગી:ટ્રાન્સપોર્ટરે ફરિયાદ કરતા ડુંગરી પોલીસે તાત્કાલિક આરોપીને ઝડપી પાડ્યો

વલસાડ હાઇવે પર એક ટ્રક ડ્રાઇવરે ટ્રાન્સપોર્ટરને પિસ્તોલ બતાવી ₹5 લાખની ખંડણી માંગી હતી. આ ગંભીર ગુનામાં ડુંગરી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી ડ્રાઇવર વિક્રમસિંહ બલવીરસિંહની ધરપકડ કરી છે. ટ્રાન્સપોર્ટર દીપક તરસેમલાલ શર્માએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આરોપી વિક્રમસિંહ ટેમ્પોનો ચાલક છે. તે 4 નવેમ્બરે કાશ્મીરથી સફરજન લઈને મુંબઈ જવા નીકળ્યો હતો. 8 નવેમ્બરે તેણે મહારાષ્ટ્રના વાશી ખાતે માલ ખાલી કર્યો હતો. ત્યારબાદ તેણે વાપીની પંજાબ રોડ લાઇન્સ ઓફિસમાંથી જમ્મુ-કાશ્મીરના ભાડા અંગે માહિતી મેળવી હતી. 10 નવેમ્બરે વિક્રમસિંહે દાદરા-નગર હવેલીની એક કંપનીમાંથી ઓઇલના ડ્રમ લઈ જવાની વાત કરી હતી. 13 નવેમ્બરે સેલવાસથી જમ્મુ સુધી જવા માટે સંપર્ક થયો હતો. રાત્રે, જ્યારે વિક્રમસિંહ ટેમ્પો લઈને ડુંગરી નજીક રોલા ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેણે ટ્રાન્સપોર્ટર દીપક શર્માની છાતી પર પિસ્તોલ મૂકી ₹5 લાખની માંગણી કરી અને તેમને ધમકાવ્યા હતા. દીપક શર્માએ સમજદારીપૂર્વક વર્તીને પૈસા ઓફિસમાંથી આપવાની વાત કરી અને ટેમ્પોને ડુંગરી હાઇવે પર આવેલી એક હોટલમાં ઊભો રાખવા જણાવ્યું હતું. ત્યારબાદ તેઓ હોટલ સંચાલક પાસે પહોંચ્યા અને સમગ્ર ઘટના જણાવી મદદ માંગી. હોટલ સંચાલકે તરત જ દીપક શર્માના મોબાઈલ ફોન પરથી 112 ઇમરજન્સી નંબર પર ફોન કરીને ડુંગરી પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ ડુંગરી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. પોલીસે દીપક શર્મા પાસેથી વિગતો મેળવીને ટેમ્પો ચાલક વિક્રમસિંહની અટકાયત કરી. તેની તલાશી લેતા પોલીસને એક લોડેડ પિસ્તોલ અને 6 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આ અંગે ઇન્ચાર્જ PI એસ.એન. ગડ્ડુને જાણ કરવામાં આવી અને વધુ તપાસ શરૂ કરાઈ છે. ડુંગરી પોલીસ મથકે ટ્રાન્સપોર્ટર દીપક શર્માની ફરિયાદના આધારે ટેમ્પો ડ્રાઇવર વિક્રમસિંહ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરાઈ છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 7:22 pm

તિથલ બીચ પર સફાઈ અભિયાન:જ્યોતિ વર્લ્ડ પ્રાઈવેટ લિમિટેડ કંપનીએ વર્લ્ડ ક્વોલિટી વીક અંતર્ગત સ્વચ્છતાનો સંદેશ આપ્યો

વલસાડ જિલ્લાના તિથલ બીચ પર પારડી સ્થિત જ્યોતિ વર્લ્ડ પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કંપનીએ વર્લ્ડ ક્વોલિટી વીકની ઉજવણીના ભાગરૂપે આ સામાજિક પહેલ કરી હતી, જેનો ઉદ્દેશ્ય લોકોમાં સ્વચ્છતાનો સંદેશ પહોંચાડવાનો હતો. સ્વચ્છ ભારત મિશનથી પ્રેરિત આ અભિયાનમાં કંપનીના વિવિધ વિભાગોના વડાઓ અને સ્ટાફ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે જ્યોતિ વર્લ્ડના પ્રતિનિધિઓએ લોકોને કચરો ગમે ત્યાં ન ફેંકો અને આસપાસનું પર્યાવરણ સ્વચ્છ રાખો જેવા સંદેશા આપ્યા હતા. સફાઈ અભિયાનમાં ક્વોલિટી હેડ પ્રીતિ દેસાઈ સહિત કંપનીના સંચાલકો અને કામદારો જોડાયા હતા. તિથલ ગામના સરપંચ રાકેશભાઈએ જ્યોતિ વર્લ્ડ કંપનીના આ પ્રયાસની પ્રશંસા કરી હતી અને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ બીચ ક્લીનઅપ અભિયાનથી તિથલ બીચ પર સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણ સંરક્ષણ અંગે લોકજાગૃતિ વધારવામાં મદદ મળી હતી.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 7:18 pm

ડાંગ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક:વિકાસના મુદ્દાઓ પર ઝડપી નિર્ણયો લેવા આહ્વાન

ડાંગ જિલ્લા સેવા સદન, આહવા ખાતે જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે વિકાસના મુદ્દાઓ પર ઝડપી નિર્ણયો લેવા અને સરકાર દ્વારા જાહેર કરાયેલ કૃષિ રાહત પેકેજનો લાભ ખેડૂતો સુધી સમયસર પહોંચાડવા તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. તેમણે વહીવટતંત્રને દરેક ખેડૂતની અરજી સમયમર્યાદામાં પૂર્ણ થાય તેની ખાતરી કરવા પણ જણાવ્યું હતું. સુબીર તાલુકાની વિકાસ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, વિજયભાઈ પટેલે એસ.ટી. બસ ડેપો, વિશ્રામ ગૃહ, લાઈબ્રેરી અને કોલેજ માટે નવી જમીન ફાળવણી અંગે તાત્કાલિક તપાસ કરી જમીન દરખાસ્ત કરવાની માંગણી કરી હતી. આ ઉપરાંત, ધોધલી ઘાટમાં નિર્માણ પામનારા ડેમ માટે જરૂરી જમીન અંગે વન વિભાગ ઝડપી મંજૂરી આપે તે માટે પણ તેમણે દિશાનિર્દેશ આપ્યા હતા. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળતી મોબાઇલ નેટવર્કની સમસ્યાઓ અંગે વિજયભાઈ પટેલે ટેલિકોમ સેવા પ્રદાતાઓ સાથે સંકલન વધારી તાત્કાલિક સમાધાન લાવવા સલાહ આપી હતી. આહવા અને વઘઈ ક્ષેત્રોમાં વધી રહેલા રખડતા પશુઓના પ્રશ્નનું નિવારણ લાવવા સ્થાનિક તંત્રને ગંભીરતાપૂર્વક કાર્યવાહી કરવા પણ જણાવ્યું હતું. બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરે ધારાસભ્ય દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ પ્રશ્નોની વિસ્તૃત સમીક્ષા કરી, સંબંધિત વિભાગોને ઝડપી અમલીકરણ માટે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. કલેક્ટરે જિલ્લાની વિવિધ કચેરીઓ, આંગણવાડી, શાળા તથા સરકારી ઉપયોગની જમીનનું નિયમિતિકરણ ઝડપથી પૂર્ણ કરાવવા પણ જણાવ્યું હતું. આ અવસરે જિલ્લાની કાયદો અને વ્યવસ્થા, રોડ સેફ્ટી કમિટી, ટ્રાફિક સલાહકાર સમિતિ, ધાર્મિક દબાણ, બોગસ દસ્તાવેજો અને લેન્ડ ગ્રેબિંગ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, તથા ઘન કચરાનું વ્યવસ્થાપન જેવી મહત્વપૂર્ણ શ્રેણીબદ્ધ બેઠકો પણ યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.કે. વસાવા, ઉત્તર નાયબ વન સંરક્ષક મુરારીલાલ મીના, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શિવાજી તબીયાર, કાર્યપાલક ઇજનેર કે.બી. કુકણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની કાર્યવાહી પ્રાંત અધિકારી કાજલ આંબલિયાએ સંભાળી હતી.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 7:16 pm

બુક ફેસ્ટિવલમાં વિશ્વ બાળ દિવસની ઉજવણી:વાર્તા કથન, વિજ્ઞાન મજા, આર્ટ–ક્રાફ્ટનું સેશન્સ દ્વારા બાળકોના જ્ઞાનમાં વધારો, પપેટ મેકિંગ વર્કશોપ પણ યોજાયો

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025ના બીજા દિવસે (14 નવેમ્બર) બાળ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. બાળકોની કલાત્મક, વૈજ્ઞાનિક અને સર્જનાત્મક ક્ષમતા વિકસે તે ઉદ્દેશ સાથે અલગ-અલગ વયવર્ગના વિદ્યાર્થીઓ માટે ખાસ સેશન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ કેલિડોસ્કોપનું મોડલ પણ બનાવ્યુંઆ કાર્યક્રમની શરૂઆત સવારના 9:00થી 9:40 દરમિયાન યોજાયેલા વાર્તાકથન સેશનથી થઈ હતી, જેમાં શ્રદ્ધા અગ્રવાલ (Sam Mi) દ્વારા ધોરણ 1થી 5ના નાના બાળકોને રસપ્રદ વાર્તાઓ દ્વારા કલ્પનાશક્તિ અને વિચારોને નવી પાંખો આપી હતી. ત્યારબાદ સવારે 9:50થી 10:30 દરમિયાન ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે ‘વિજ્ઞાન સાથે મજા’ સેશનનું આયોજન થયું હતું. વિકમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા સંચાલિત આ સેશનમાં વિદ્યાર્થીઓએ રસાયણ વિજ્ઞાનના અદ્ભુત પ્રયોગો તથા રોજિંદા જીવનમાં વિજ્ઞાન કેવી રીતે કામ કરે છે તે માણ્યું હતું. આ સેશનમાં વિધાર્થીઓને ગણિત અને વિજ્ઞાનની પ્રવતિઓ શીખવવામાં આવી હતી. આ ઉપરાંત સૌ વિદ્યાર્થીઓએ કેલિડોસ્કોપનું મોડલ પણ બનાવ્યું હતું. અંતિમ સત્રમાં ધો.9થી 12ના વિદ્યાર્થીઓ માટે પુસ્તક કવર ડિઝાઇનનો વર્કશોપઆ ઉપરાંત ધોરણ 6થી 8ના વિધાર્થીઓ માટે આર્ટ એન્ડ ક્રાફ્ટ વર્કશોપ યોજાયો હતો. બિજેન્દ્ર કુશવાહા (CCL–IIT, Gandhinagar) દ્વારા લેવાયેલા આ વર્કશોપમાં વિદ્યાર્થીઓએ અનોખા આર્ટ પ્રોજેક્ટ્સ બનાવતા તેમની સર્જનાત્મકતા અભિવ્યક્ત કરી હતી. જ્યારે દિવસના અંતિમ સત્રમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે પુસ્તક કવર ડિઝાઇન વર્કશોપનું આયોજન NCCL દ્વારા કરવામાં આવ્યું. આ સેશનમાં વિદ્યાર્થીઓએ બુક કવર ડિઝાઇનની કલાત્મક પ્રક્રિયા તથા બુક પબ્લિશિંગમાં તેના મહત્વને સમજ્યું હતું. બાળ દિવસની આ ઉજવણી દ્વારા બાળકોમાં વાંચન, સર્જનાત્મકતા, વિજ્ઞાન અને કલા પ્રત્યેની જિજ્ઞાસામાં વધારો થયો હતો. અનંત નૅશનલ યુનિવર્સિટી દ્વારા ફેબ્રિક પપેટ મેકિંગ વર્કશોપનું આયોજનઆ વર્કશોપનું માર્ગદર્શન દ્રિષ્ટી ચાવડા દ્વારા આપવામાં આવ્યું, જેઓ ફેશન ડિઝાઇનર, એજ્યુકેટર અને ક્રિએટિવ આર્ટિસ્ટ છે. તેમજ ક્રાફ્ટ એન્થૂસિયાસ્ટ તરીકે ઓળખાય છે. તેઓ ગારમેન્ટ્સ અને લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ્સ ડિઝાઇનિંગમાં એસ્થેટિક્સ, ફંક્શનલિટી અને થોટફૂલ ક્રાફ્ટસમેનશિપ પર ખાસ ધ્યાન આપતા જાણીતા છે. તેઓ સામાન્ય અને રોજિંદા ઉપયોગની સામગ્રીથી પ્રોડક્ટ મેકિંગ વર્કશોપ પણ ચલાવે છે, જે વિદ્યાર્થીઓને સર્જનાત્મકતા વિકસાવવાનો અને હેન્ડ્સ-ઓન સ્કિલ્સ મેળવવાનો ઉત્તમ અવસર આપે છે. પહેલાં કથાઓને દર્શાવવા પપેટ્સનો ઉપયોગ થતોઃ દ્રિષ્ટી ચાવડાસેશન દરમિયાન દ્રિષ્ટી ચાવડાએ જણાવ્યું કે, પપેટ્સનો ઇતિહાસ મહાભારતના સમયથી જોવા મળે છે. એ સમયગાળા દરમિયાન કાતર, કાગળ કે મશીનો ન હોવાને કારણે કથાઓને દર્શાવવાની રીત તરીકે પપેટ્સનો ઉપયોગ થતો. ત્યારે રાજા-રાણી, સૈનિક જેવા પાત્રો પપેટ્સથી બનાવાતા હતા. જ્યારે આજના સમયમાં બાળકો માટે પ્રાણીઓ, જાણીતા પાત્રો, સિન્ડ્રેલા, સુપરહીરો જેવા સર્જનાત્મક પપેટ્સ બનાવવામાં આવે છે. બાળકો-વાલીઓએ નવી ક્રીએટિવ ટેકનિકનો અનુભવ કર્યોઆવી પ્રવૃત્તિઓથી બાળકોની કલ્પનાશક્તિ વિકસે છે, તેઓ સ્ટોરીટેલિંગમાં વધુ રસ લે છે અને પોતાની વિચારી શકવાની તથા સર્જી શકવાની ક્ષમતા મજબૂત બને છે. વર્કશોપ દરમિયાન હાજર બાળકો અને વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પપેટ બનાવવાની મજા સાથે એક નવી ક્રીએટિવ ટેકનિકનો અનુભવ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 7:13 pm

ગાંધીનગરમાં બેફામ કારચાલકે વૃદ્ધનો જીવ લીધો:શાહપુર બ્રિજથી ઈન્દ્રોડા તરફના રોડ પર વધુ એક જીવલેણ અકસ્માત, બે દિવસ પહેલા મહિલાનું મોત નીપજ્યું હતું

ગાંધીનગરમાં બેફામ કારચાલકે વાહન હંકારવાના કારણે જીવલેણ અકસ્માતોની હારમાળા સર્જાઈ છે. શાહપુર બ્રિજથી ઈન્દ્રોડા સર્કલ તરફ જતો રોડ છેલ્લા કેટલાક દિવસોથી અકસ્માત ઝોન બની ગયો છે, જ્યાં ગતરોજ સાંજે વધુ એક જીવલેણ અકસ્માત સર્જાતા એક નિવૃત્ત વૃદ્ધનું કરુણ મોત નિપજ્યું છે. બે દિવસ અગાઉ પણ અત્રેના રોડ પર બાઈકની ટક્કરથી ઇજાગ્રસ્ત મહિલાનું મોત થતાં બે સંતાનો નોંધારા થયા છે. ત્યારે વધુ એક જીવલેણ અકસ્માત અંગે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. બેફામ કારચાલકે નિવૃત્ત જીવન જીવતા વૃદ્ધનો જીવ લીધોગાંધીનગર રાયસણ ખાતે ગુડાના મકાનમાં રહેતા નાગજીભાઈ હરજીભાઈ દેસાઈ દ્વારા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના નિવૃત્ત પિતા હરજીભાઈ અગાઉ માધ્યમિક શિક્ષણ બોર્ડ ખાતે પટાવાળા તરીકે નોકરી કરતા હતા અને હાલમાં નિવૃત્ત જીવન જીવતા હતાં. નાગજીભાઈના પિતા ગઈકાલે સાંજે ગાંધીનગર ઇન્ફોસિટી ખાતે રહેતા દૂરના સંબંધી રાજુભાઈ દેસાઈને મળીને સાડા સાતેક વાગ્યે ચાલતા નીકળ્યા હતા. અને શાહપુર બ્રિજથી ઈન્દ્રોડા સર્કલ તરફ જતા રોડ ઉપર મેટ્રો સ્ટેશન નજીક તેઓ રોડ ક્રોસ કરી રહ્યા હતા. પૂર ઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારીને વૃદ્ધને ઉડાવ્યાઆ દરમિયાન શાહપુર બ્રિજ તરફથી આવી રહેલી I20 ગાડીના ચાલકે પોતાની ગાડી પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી હરજીભાઈને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતને કારણે તેમના માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. આ અકસ્માત બાદ કારના ચાલક દ્વારા જ ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ વૃદ્ધને મૃત જાહેર કર્યા હતાં. જેમનું માથા અને મોઢાના ભાગે વધુ પડતા લોહી વહી જવાથી ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું અનુમાન છે. બે દિવસ પહેલા પણ એક જીવલેણ અકસ્માતની ઘટના બની હતીઉલ્લેખનીય છે કે, આ જ રોડ પર બે દિવસ પહેલા પણ એક જીવલેણ અકસ્માતની ઘટના બની હતી, જેમાં એક મહિલાનું બાઇક ટક્કરથી મોત નીપજ્યું હતું. ધોળાકુવા ગામ પાસે રહેતા અને પાણીપુરીનો છૂટક વેપાર કરી ગુજરાન ચલાવતો રાહુલ રામકિશોર અને તેની પત્ની શિવાની ઉર્ફે સંધ્યાદેવી સાથે ઘરેથી દાંતની દવા લેવા માટે જઈ રહ્યા હતા.બંને ઈન્ફોસિટી મેટ્રો સ્ટેશન નજીક શાહપુર બ્રિજના ઉતરતા છેડે રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે શાહપુર બ્રિજ તરફથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા GJ-18-FH-4752 નંબરના ટુ-વ્હીલર બાઈકના ચાલકે શિવાનીને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત માં શિવાનીનું અકાળે મોત થતા બે સંતાનોને માતાની છત્રછાયા ગુમાવી છે. ત્યારે વધુ એક જીવલેણ અકસ્માતમાં વૃદ્ધનું મોત થતા શાહપુર-ઈન્દ્રોડા રોડ પર અકસ્માતોની વધતી સંખ્યાને લઈને પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા રોડ સેફ્ટી અંગે પગલાં લેવા જરૂરી બન્યા છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ)

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 7:11 pm

મહીસાગરમાં 15 નવેમ્બરે ભગવાન બિરસા મુંડાજીની જયંતી ઉજવાશે:રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં જનજાતીય ગૌરવ દિવસ કાર્યક્રમ

મહીસાગર જિલ્લામાં 15 નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતી 'જનજાતીય ગૌરવ દિવસ' તરીકે ઉજવવામાં આવશે. સંતરામપુર તાલુકાના આઝાદ મેદાન ખાતે યોજાનારા આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી રિવાબા જાડેજા અધ્યક્ષતા કરશે. આ અંગેની માહિતી મહીસાગર જિલ્લા સેવા સદન કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટર અર્પિત સાગર દ્વારા આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 7:08 pm

ખાડા-મુક્ત રોડ તરફ આગળ વધતું મહાનગરપાલિકા તંત્ર:કમિશનરે સ્થળની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી અને જરુરી સૂચનો આપ્યા

વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુએ તરસાલી વિસ્તારમાં તરસાલી સર્કલથી વડદલા તરફના રોડ પર ચાલી રહેલ પેચવર્ક કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમણે સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી, કામગીરીની સમીક્ષા કરી અને જરૂરી સૂચનાઓ આપી હતી. 40 કિ.મી. રોડનું રિસર્ફેસિંગ પૂર્ણ કરવામાં આવ્યુંઆ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે, ગત ચોમાસા પછી શહેરના વિવિધ વિસ્તારોમાં પોટહોલ્સ, રિસર્ફેસિંગ અને પેચવર્કનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. જુલાઈ અને સપ્ટેમ્બર માસમાં વાતાવરણ સાફ થતાં જ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટોલ-ફ્રી નંબર, સોશિયલ મીડિયા અને ઓનલાઇન સર્વે સિસ્ટમ દ્વારા મળેલ ફરિયાદોના આધારે તૈયાર કરાયેલ સર્વે અનુસાર પણ કામગીરી આગળ વધી રહી છે. ચારેય ઝોનમાં 5 હજારથી વધુ પોટહોલ્સ પર કામગીરી પૂર્ણ કરી છે. આ સાથે અંદાજે 40 કિ.મી. રોડનું રિસર્ફેસિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે અને હાલમાં રિ-કાર્પેટિંગની કામગીરી પણ શરૂ છે. વોર્ડ પ્રમાણે મેઇન અને સાઇડ રોડ બનાવવાનું આયોજનહવે શહેરમાં બનનાર નવા બાંધકામ રોડ માટે હાલ 5 વર્ષની DLP (Defective Liability Period) છે, જેને ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય ટૂંક સમયમાં 10 વર્ષ કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. વડોદરા મહાનગરપાલિકા પણ આવનારા ટેન્ડરોમાં 10 વર્ષની DLP રાખવાનો નિર્ણય લીધો છે. આ સાથે શહેરના પશ્ચિમ ઝોનમાં પીવાનું પાણી, રોડ અને ડ્રેનેજની કામગીરી એકસાથે કરવામાં આવશે. વોર્ડ પ્રમાણે મેઇન અને સાઇડ રોડ બનાવવાનું આયોજન છે, જેથી વિભાગો વચ્ચે સંકલન સુધરે અને ખર્ચમાં ઘટાડો થાય. રાહદારીઓ અને વાહનચાલકોને તકલીફ ન પડે તે માટે મોટાભાગની કામગીરી મોડી રાત્રે કરવામાં આવે છે. ખાનગી હોટમિક્સ પ્લાન્ટનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. ટૂંક સમયમાં નાગરિકોને સુવિધા પૂરી પાડવાનો દાવો કરવામાં આવ્યોપાણી અને ડ્રેનેજ પ્રોજેક્ટ્સ પર પર પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં ગાજરાવાડી ખાતે 130 MLD ક્ષમતાના STPનું નિર્માણ ચાલુ છે. ભાભા એટોમિક રિસર્ચ યુનિટ ખાતે ડ્રેનેજ રિસર્ચ પ્રેઝન્ટેશનનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. તરસાલી જંક્શન (વોર્ડ-19)માં પાણીની લાઇન પેચવર્ક અને વોર્ડ-13માં ગણેશવાડી ખાતે પાણી પુરવઠા કન્ટેમિનેશનનો મુદ્દો સ્થાનિક સભાસદો સાથે ચર્ચા કરવામાં આવ્યો છે. આ સાથે જૂની પાઇપલાઇનના સ્થાને નવી ડિઝાઇનવાળી પાણી વિતરણ વ્યવસ્થા ઊભી કરાશે. ચોમાસા પછી રોડ, ડ્રેનેજ અને પાણી વિતરણની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. વડોદરા મહાનગરપાલિકા ગુજરાત સરકારની ગાઇડલાઇન મુજબ ખાડા-મુક્ત શહેર બનાવવા પ્રતિબદ્ધ છે. ટૂંક સમયમાં તમામ કામગીરી પૂર્ણ કરી નાગરિકોને સુવિધા પૂરી પાડવાનો દાવો કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 7:08 pm

મોરબીમાં ભાજપે બિહાર વિજયની ઉજવણી કરી:બે મંત્રીઓની હાજરીમાં આતશબાજી કરાઈ

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે, જેમાં એનડીએને ઐતિહાસિક બહુમતી મળી છે. આ વિજયની ઉજવણી મોરબીના નગર દરવાજા ચોકમાં કરવામાં આવી હતી. રાજ્યના મંત્રી કાંતિ અમૃતિયા અને ત્રિકમ છાંગાની હાજરીમાં આતિશબાજી કરીને કાર્યકરોએ એકબીજાના મોં મીઠા કરાવ્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા વર્તમાન સરકાર પર વોટ ચોરીના ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા, તેવા સમયે બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. કુલ 243 બેઠકો માટે થયેલા મતદાનની મતગણતરી શુક્રવારે કરવામાં આવી હતી. વહેલી સવારથી જ એનડીએના ઉમેદવારોએ સરસાઈ મેળવી હતી. મતગણતરી લગભગ પૂર્ણ થતાં, એનડીએના ઉમેદવારો 243માંથી 203 બેઠકો પર વિજેતા બન્યા છે. આ ઐતિહાસિક વિજયને પગલે ગુજરાત સહિત દેશભરમાં ભાજપ અને એનડીએ દ્વારા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. મોરબીના નગર દરવાજા ચોકમાં યોજાયેલી આ ઉજવણી મોરબી શહેર ભાજપના પ્રમુખ રિશીપ કૈલા, મહામંત્રી ભુપત જારીયા અને ભાવેશ કંઝારીયાની આગેવાની હેઠળ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા તેમજ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમ છાંગા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત લાખા જારીયા, પ્રદીપ જારીયા, જયંતિ પટેલ, હિરેન પારેખ, હસુ પંડ્યા, કેતન વિલપરા, જયદીપ કંડિયા, મેઘરાજસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, પ્રકાશ ચબાડ, અનોપસિંહ જાડેજા, આસિફ ઘાંચી, પરેશ કચોરીયા, વિક્રમ વાંક, મહિલા ભાજપના પ્રમુખ ભાવનાબેન કૈલા સહિતના અનેક આગેવાનો હાજર રહ્યા હતા. 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ'ના નારાથી મોરબીનો નહેરૂ ગેટ ચોક ગુંજી ઉઠ્યો હતો. મંત્રીઓ સહિતના ભાજપના આગેવાનોએ એકબીજાના મોં મીઠા કરાવીને બિહારના વિજયને વધાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 7:06 pm

સરદાર પટેલની જન્મજયંતિ ઉજવણી:મહીસાગરમાં 150મી જન્મજયંતિ નિમિત્તે એકતા પદયાત્રા યોજાશે

મહીસાગર જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં કલેક્ટરે પત્રકારોને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત યોજાનારા કાર્યક્રમો વિશે માહિતી આપી હતી. કલેક્ટર અર્પિત સાગરે જણાવ્યું હતું કે, ગુજરાતના સપૂત, અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના રાષ્ટ્રીય મહાઅભિયાનના ભાગરૂપે મહીસાગર જિલ્લામાં રાજ્ય સરકારના નિર્દેશ મુજબ કાર્યક્રમો યોજાશે. આ અંતર્ગત, મહીસાગર જિલ્લાની દરેક વિધાનસભા બેઠક દીઠ 10-10 કિલોમીટરની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. લુણાવાડા વિધાનસભાની પદયાત્રા 18 નવેમ્બરના રોજ, બાલાસિનોર વિધાનસભાની પદયાત્રા 19 નવેમ્બરના રોજ અને સંતરામપુર વિધાનસભાની પદયાત્રા 20 નવેમ્બરના રોજ યોજાશે. આ પદયાત્રામાં સ્થાનિક નાગરિકો, વિદ્યાર્થીઓ અને પદાધિકારીઓ ઉત્સાહભેર ભાગ લેશે. આ કાર્યક્રમો દ્વારા સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે અને તેમના યોગદાનને યાદ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 6:57 pm

ડાંગના ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્યું:ઓક્ટોબર-2025ના કમોસમી વરસાદથી નુકસાન માટે 15 દિવસ અરજી કરો

ડાંગ જિલ્લામાં ઓક્ટોબર-૨૦૨૫માં થયેલા કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાન માટે રાજ્ય સરકારે કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર-2025 જાહેર કર્યું છે. આ પેકેજ અંતર્ગત પાત્ર ખેડૂતોને આર્થિક સહાય મળી રહે તે માટે 14 નવેમ્બર, 2025ના રોજ બપોરે 12:00 વાગ્યાથી પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ પોર્ટલ આગામી 15 દિવસ સુધી કાર્યરત રહેશે. પેકેજનો લાભ લેવા માટે ખેડૂત ખાતેદારોના પાકને ૩૩% કે તેથી વધુ નુકસાન થયું હોવું ફરજિયાત છે. અરજી પ્રક્રિયાને સરળ બનાવવા માટે, ખેડૂતો VCE (વિલેજ કમ્પ્યુટર એન્ટ્રી) મારફતે digitalgujarat પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે. અરજી કરતી વખતે નીચે મુજબના દસ્તાવેજો રજૂ કરવાના રહેશે: ગામનો નમૂનો 8-અ, તલાટી દ્વારા અપાયેલ વાવેતરનો દાખલો અથવા ગામ નમૂનો 7/12, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ (IFSC કોડ સાથે) અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર. સંયુક્ત ખાતાના કિસ્સામાં, અન્ય તમામ ખાતેદારોની સહીવાળું ના-વાંધા અંગેનું સંમતિપત્ર રજૂ કરવું અનિવાર્ય છે, જેથી માત્ર એક જ ખાતેદારને સહાયનો લાભ મળી શકે. જિલ્લા ખેતીવાડી અધિકારીએ ખેડૂતોને સમયમર્યાદામાં જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી પૂર્ણ કરવા વિનંતી કરી છે. આ પેકેજ કમોસમી વરસાદથી મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોને મદદરૂપ થશે અને પાકના નુકસાનની આંશિક ભરપાઈ કરશે તેવી અપેક્ષા છે. રાજ્ય સરકારની આ પહેલ ડાંગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કૃષિ વ્યવસ્થાને મજબૂત બનાવવામાં અને ખેડૂતોને રાહત આપવામાં મદદરૂપ થશે. ખેડૂતોને નિર્ધારિત ૧૫ દિવસની સમયમર્યાદામાં અરજી કરીને આ યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 6:51 pm

ગીરસોમનાથમાં મતદારયાદી સુધારણા માટે વિશેષ કેમ્પ:15-16 અને 22-23 નવેમ્બરે બે તબક્કામાં યોજાશે, BLO મદદ કરશે

ગીરસોમનાથ જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા (SIR) કાર્યક્રમ અંતર્ગત વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 4 નવેમ્બર 2025થી 4 ડિસેમ્બર 2025 સુધી ગણતરીના તબક્કા તરીકે નક્કી કરવામાં આવ્યો છે. નાગરિકોને કોઈ અગવડતા ન પડે તે માટે, ગીરસોમનાથ જિલ્લામાં 15-16 નવેમ્બર અને 22-23 નવેમ્બર એમ બે તબક્કામાં વિશેષ કેમ્પ યોજાશે. જિલ્લા ચૂંટણી અધિકારી એન.વી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આ કેમ્પ સવારે 9:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી ચાલશે. આ કેમ્પ દરમિયાન, સંબંધિત વિસ્તારના બૂથ લેવલ ઓફિસર (BLO) તેમના મતદાન મથક ખાતે હાજર રહેશે. BLO મતદારોને ગણતરી ફોર્મ ભરવામાં, વર્ષ 2002ની મતદારયાદીમાં નામ શોધવામાં અને બાકી રહેલા મતદારોને મેપિંગ/લિંકિંગ કરાવવામાં મદદ કરશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે સમગ્ર જિલ્લાના મતદાન મથકો પર યોજાનાર આ કેમ્પનો મહત્તમ નાગરિકો લાભ લે અને જિલ્લા વહીવટી તંત્રને સહયોગ આપે તેવી અપીલ કરી છે. જો કોઈ મતદારે ઓનલાઈન એન્યુમરેશન ફોર્મ ભરવું હોય, તો તેઓ વોટર્સ સર્વિસ પોર્ટલ https://voters.eci.gov.in/login પરથી ભરી શકશે. મતદારો BLO સાથે ફોનથી સંપર્ક કરવા માટે https://voters.eci.gov.in/ પરથી Book a Call With BLO વિકલ્પનો ઉપયોગ કરી શકે છે. કોલ બુક થયા બાદ BLO દ્વારા 48 કલાકની અંદર સામેથી મતદારનો સંપર્ક કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 6:47 pm

સાબરકાંઠા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક:હિંમતનગરમાં મંડલ-સેક્ટર પ્રમુખો સાથે સંવાદ યોજાયો

હિંમતનગરમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિસ્તૃત કારોબારી બેઠક અને મંડલ-સેક્ટર પ્રમુખો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ બેઠકમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અને ખેડબ્રહ્માના ધારાસભ્ય ડૉ. તુષાર ચૌધરી, AICCના મંત્રી અને ગુજરાત કોંગ્રેસના સહપ્રભારી સુભાષિની યાદવ, ગુજરાત કોંગ્રેસના મહામંત્રી નઈમબેગ મિર્જા, ચાણસ્માના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામ સોલંકી સહિતના અગ્રણીઓ અને તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ સમિતિની આ વિસ્તૃત કારોબારી બેઠકની શરૂઆત આજના એજન્ડા પ્રમાણે જાણકારી સાથે થઈ હતી. જેમાં મંડલ અને સેક્ટરના પ્રમુખો સાથે સંવાદ, જન આક્રોશ યાત્રાની તૈયારી, જિલ્લા સંગઠનનું નવું માળખું બનાવવું, જિલ્લા પંચાયત બેઠક પ્રમાણે જન આક્રોશ સંમેલન યોજવા, પોલિટિકલ એફેર્સ કમિટીની રચના કરી 'વોટ ચોર ગાદી છોડ' ઝુંબેશની તાલુકાવાર સમીક્ષા કરવી અને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠકમાં ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા અને ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરી તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સંગઠનના સહપ્રભારી સુભાષિની યાદવે બિહાર વિધાનસભાના પરિણામો અંગે પ્રતિક્રિયા આપી હતી. સુભાષિની યાદવે જણાવ્યું હતું કે, હજુ સંપૂર્ણ પરિણામ જાહેર થયું નથી, સાંજ સુધી રાહ જોવી જોઈએ કારણ કે હજુ 50 ટકા જ ગણતરી થઈ છે. ગણતરી બાદ સાચું પરિણામ સામે આવશે. બીજી તરફ, તુષાર ચૌધરીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, NDA દ્વારા બિહારમાં મતદાન પૂર્વે મહિલાઓના ખાતામાં રૂપિયા આપી વોટ મેળવવામાં આવે છે. 75 હજાર મહિલાઓના ખાતામાં 10 હજાર રૂપિયા આપવા એ પણ એક પ્રકારની વોટ ચોરી છે. સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ઇડર તાલુકાના કોંગ્રેસ પ્રમુખ તરીકે નંદુ ડાહ્યા પટેલ અને વડાલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે સુરેશસિંહ દીપસિંહ સોલંકીની નિમણૂક કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 6:45 pm

સિલોન ચેમ્બર ઓફ કોમર્સ અને GCCI વચ્ચે MOU પર હસ્તાક્ષર:ટુરિઝમ, ફાર્મા સહિત અનેક ક્ષેત્રમાં શ્રીલંકા-ગુજરાત વચ્ચે વ્યાપારિક સંબંધો વધશે

ગુજરાત રાજ્ય અને શ્રીલંકા વચ્ચે આજથી નવા વ્યાપારિક સબંધો બાબતે એક ડગલું ભરવામાં આવ્યું. આજે અમદાવાદ ખાતે શ્રીલંકાના હાઈ કમિશનર મહિશિની કોલોનીની અને શ્રીલંકાના કોમર્સ મિનિસ્ટર લોકેશમેન્દ્ર દિશ્યાંકે દ્વારા મુલાકાત કરવામાં આવી. સિલોન ચેમ્બર ઓફ કોમર્સ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)એ આજે ​​ગુજરાતના અમદાવાદમાં શ્રીલંકા અને ગુજરાત વચ્ચે દ્વિપક્ષીય વેપાર, રોકાણ અને વ્યવસાયિક સહયોગને મજબૂત બનાવવા માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. સિલોન ચેમ્બર અને GCCI સંયુક્ત રીતે વ્યવસાયિક તકોને પ્રોત્સાહન આપશેસિલોન ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષ કૃષ્ણ બાલેન્દ્ર અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ સંદીપ આર. એન્જિનિયર દ્વારા આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. શ્રીલંકાના ભારતમાં હાઈ કમિશનર મહિષિની કોલોનીની મુલાકાત દરમિયાન આ હસ્તાક્ષર થયા હતા, જે પદ સંભાળ્યા પછી તેમની પ્રથમ સત્તાવાર રાજ્ય-સ્તરીય જોડાણ હતી. હસ્તાક્ષર તરફ દોરી જતી પહેલ અને વ્યવસ્થાઓ ગુજરાતમાં શ્રીલંકાના માનદ કોન્સ્યુલ રાકેશ શાહ દ્વારા કરવામાં આવી હતી, જેમના પ્રયાસોએ બંને ચેમ્બરને એકસાથે લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સમજૂતી કરાર હેઠળ, સિલોન ચેમ્બર અને GCCI વ્યવસાયિક તકોને પ્રોત્સાહન આપવા, સંયુક્ત સાહસોને સરળ બનાવવા માટે સહયોગ કરશે. ગુજરાતને એક ડેવલોપમેન્ટ મોડલ રાજ્ય તરીકે જોવામાં આવે છેGCCI સાથે MOU હસ્તાક્ષર બાદ તેઓ શ્રીલંકન હાઈ કમિશનર મહિષિની કોલોની દ્વારા જણાવવામાં આવ્યું કે, શ્રીલંકા અને શ્રીલંકાના વતનીઓ ગુજરાતને અને તેના વિકાસને દેખી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેઓ ગુજરાતને એક ડેવલોપમેન્ટ મોડલ રાજ્ય તરીકે જોઈ રહ્યા છે અને શ્રીલંકાને ગુજરાતમાં ખૂબ જ દિલચસ્પી છે. ગુજરાત પાસે મસમોટો દરિયાકિનારો છે અને શ્રીલંકા પણ દરિયાઈ વિસ્તારનો દેશ છે. ગુજરાત અને શ્રીલંકા વચ્ચેની ભાગીદારીની શરૂઆત ગુજરાત મેરી ટાઈમ સ્ટેટ છે જ્યારે શ્રીલંકા એ એક મેરી ટાઈમ દેશ છે. બંને પાસે બંદરો છે અને દરિયાઈ માર્ગે મસમોટો ટ્રાન્સપોર્ટ અને શિપમેન્ટ વેપાર છે. અમારા વડાપ્રધાન અહીં આવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે, ભારત દેશ શ્રીલંકાના પોર્ટનો ઉપયોગ કરી શકે છે. ચર્ચાઓ ઘણી થઈ છે ઘણી તકો છે. તેમાં ટેક્ષ્ટાઈલ, ફાર્મા,હોસ્પિટલાઇટી, ટુરિઝમ મારું માનવું છે કે ઘણા સહકારનો વિસ્તાર ભારત અને શ્રીલંકા વચ્ચે અસીમિત છે. આજે જ્યારે MOU સાઈન થયા ત્યારે મેં કહ્યું હતું કે, સિલોન ચેમ્બર ઓફ કોમર્સ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઈન્સ્ટ્રીઝ વચ્ચે શરૂ થશે. આ પહેલું પગથિયું ગુજરાત અને શ્રીલંકા વચ્ચે ની ભાગીદારીની શરૂઆત હશે. ગુજરાત વાઇબ્રન્ટમાં પણ શ્રીલંકન ડેલીગેશન આવશેજ્યારે બીજી તરફ GSECના ચેરમેન ડિરેક્ટર રાકેશ શાહે પણ જણાવ્યું હતું કે, એક નાની શરૂઆતથી શ્રીલંકા હાઈ કમિશનર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં એન્ટર થયા અને ઘણા બધા ક્ષેત્રોની ચર્ચા થઈ વિપુલ તકો બાબતે ચર્ચા થઈ. સાથે-સાથે 2જી ડિસેમ્બરે ત્યાં એક્ઝિબિશન અને સેમિનાર છે ત્યારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ડેલીગેશન શ્રીલંકા લઈ જવાની તૈયારી દર્શાવી છે. ત્યારબાદ ગુજરાત વાઇબ્રન્ટમાં પણ શ્રીલંકન ડેલીગેશન આવશે. ટુરીઝમ ક્ષેત્રમાં વિકાસ લાવવા માટે શ્રીલંકા સરકાર ફરી કટિબદ્ધ છેઆજે મુલાકાતમાં ભારત અને શ્રીલંકા વચ્ચે વેપાર સંબંધો વચ્ચે મહત્વની બેઠક થઈ. આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શ્રીલંકન હાઈ કમિશન વચ્ચે મહત્વની બેઠક પણ થઈ હતી. ત્યાર બાદ GCCI અને શ્રીલંકા હાઈ કમિશને મહત્વના MOU કર્યા, જેમાં એગ્રીકલ્ચર, ટેક્સટાઇલ, ફાર્માસ્યુટિકલ, આરોગ્ય અને બંદરોના વિકાસ માટે કરવામાં આવ્યા MOU થયા છે. ટુરીઝમ ક્ષેત્રમાં વિકાસ લાવવા માટે શ્રીલંકા સરકાર ફરી કટિબદ્ધ છે, મુખ્યમંત્રી સાથે બેઠક કર્યા બાદ અમદાવાદથી શ્રીલંકા સીધી ફ્લાઈટ કનેક્ટિવિટીની સમસ્યાનું પણ નિરાકરણ ઝડપી કરવામાં આવશે. સરકાર દ્વારા એરલાઇન્સ કંપનીનો સંપર્ક કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 6:38 pm

મચ્છર મારવા થર્મલ ફોગિંગની જગ્યાએ કોલ્ડ ફોગિંગનો ઉપયોગ:ગાંધીનગર મહાનગરપાલિકાના નવતર પ્રયોગથી ખર્ચમાં ઘટાડો થશે, ફોગિંગમાં ડીઝલની જગ્યાએ પાણીનો ઉપયોગ

ગાંધીનગર મહાનગરપાલિકાએ શહેરને મચ્છરજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના સંક્રમણથી મુક્ત કરવા માટે ચાલુ વર્ષથી એક નવતર અને અત્યંત અસરકારક પ્રયોગ શરૂ કર્યો છે. GMC દ્વારા હવે પરંપરાગત થર્મલ ફોગિંગ પદ્ધતિને બદલે કોલ્ડ ફોગિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના પરિણામો જાહેર આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ અસરકારક જોવા મળ્યા છે. થર્મલ ફોગિંગમાં વપરાતા ડીઝલને બદલે પાણીનો ઉપયોગકોલ્ડ ફોગિંગ પદ્ધતિનો મુખ્ય ફાયદો એ છે કે તેમાં થર્મલ ફોગિંગમાં વપરાતા ડીઝલને બદલે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. આ નવી પદ્ધતિમાં પાણી અને દવાની એક ઝીણી મિસ્ટ (ઝાંખળ) બનાવવામાં આવે છે, જે વાતાવરણમાં પ્રમાણમાં લાંબા સમય સુધી રહે છે. લાંબા સમય સુધી હવામાં રહેવાના કારણે મચ્છર નિયંત્રણ વધુ સારી રીતે અને વધુ સંખ્યામાં કરી શકાય છે. ડીઝલનો વપરાશ ન થવાના કારણે ધુમાડો ખૂબ જ ઓછો થાય છે, જે પર્યાવરણને પણ ફાયદો કરાવે છે. પાણીના ઉપયોગથી પાલિકાનો ખર્ચ પણ ઘટશેઅત્યાર સુધી થર્મલ ફોગિંગ પદ્ધતિમાં ગરમ ધુમાડાના કારણે મચ્છર ઊડીને અન્ય જગ્યા પર સ્થળાંતર કરી જતા હતા, જ્યારે કોલ્ડ ફોગિંગમાં પાણીની મિસ્ટ હોવાથી મચ્છર વધુ દૂર ભાગતા નથી, જેથી તેમને નિયંત્રિત કરવા વધુ સરળ બને છે. વળી ડીઝલનો ખર્ચ ન થવાથી આ પદ્ધતિનો ઉપયોગ મહાનગરપાલિકા માટે આર્થિક રીતે પણ ફાયદારૂપ સાબિત થયો છે. જ્યાં થર્મલ ફોગિંગમાં 1.25 % ડેલ્ટા મેથ્રિનનો ઉપયોગ થતો હતો, ત્યાં કોલ્ડ ફોગિંગમાં 2 % ડેલ્ટા મેથ્રિનનો ઉપયોગ કરવામાં આવશે. રોગની સંખ્યામાં પણ ઘટાડોઆ કોલ્ડ ફોગિંગ કામગીરીના સારા પરિણામ સ્વરૂપે ડેન્ગ્યુ તેમજ ચિકનગુનિયાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વર્ષ 2024માં ઓક્ટોબરના અંત સુધીમાં નોંધાયેલા 441 ડેન્ગ્યુ કેસોની સરખામણીમાં ઓક્ટોબર 2025ના અંત સુધીમાં માત્ર 169 કેસો નોંધાયા છે, જે ગત વર્ષની સરખામણીમાં 72% જેટલો મોટો ઘટાડો દર્શાવે છે. તેવી જ રીતે ચિકનગુનિયાના વર્ષ 2024માં નોંધાયેલા 111 કેસોની સરખામણીમાં 2025માં માત્ર 4 કેસો નોંધવા પામ્યા છે, જે 96% જેટલો ઘટાડો સૂચવે છે. આમ ગાંધીનગર મહાનગરપાલિકાનો આ પ્રયોગ જાહેર આરોગ્યની જાળવણી માટે એક સફળ મોડેલ બની રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 6:37 pm

રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં ચિલ્ડ્રન્સ ડેની ઉજવણી:200થી વધુ બાળકોએ શૈક્ષણિક અને વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો

ભાવનગર રિજિયોનલ સાયન્સ સેન્ટર (RSC) ખાતે ચિલ્ડ્રન્સ ડેની ઉજવણી કરવામાં આવી. પંડિત જવાહરલાલ નેહરુની જન્મજયંતિ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં સિલ્વર બેલ્સ પબ્લિક સ્કૂલના 200થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. બાળકો માટે વિવિધ શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગેલેરી વિઝિટ પણ બાળકોએ કરી હતી. આ પ્રવૃત્તિઓમાં બલૂન પફરફિશ એક્ટિવિટી, ફાઇન્ડ ધ એક્વાટિક એનિમલ, આલ્ફાબેટ હન્ટ ગેમ, ડ્રોન શો, નેચર બ્રેસલેટ મેકિંગ, ફિંગર પ્રિન્ટ ટ્રી અને 'નો યોર બોડી ઓર્ગન' જેવી માનવ શરીર વિશેની રસપ્રદ માહિતી આપતી પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હતો. સિલ્વર બેલ્સ પબ્લિક સ્કૂલના ધોરણ 4 અને 5ના બાળકોએ આ તમામ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકોએ નવા વૈજ્ઞાનિક અનુભવોનો આનંદ માણ્યો હતો. કાર્યક્રમમાં હાજર રહેલા શિક્ષકમંડળે આરએસસી ભાવનગરના આયોજન, સ્ટાફની સમજાવટ અને પ્રવૃત્તિઓની ગુણવત્તાની પ્રશંસા કરી હતી. શિક્ષકોએ જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસા, ક્રિટિકલ થિંકિંગ, ઓબ્ઝર્વેશન સ્કિલ્સ અને સર્જનાત્મક વિચારશક્તિ વિકસાવવા માટે અત્યંત ઉપયોગી છે. આરએસસી ભાવનગરનો મુખ્ય હેતુ બાળકોને સ્કૂલ બેગના ભાર વિના, આનંદ સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી જગતનો પરિચય કરાવવાનો છે. તે વિદ્યાર્થીઓમાં શીખવા પ્રત્યે જિજ્ઞાસા, સર્જનાત્મકતા અને સંશોધનની ભાવના જગાડવા પ્રયત્નશીલ છે. વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને વિજ્ઞાન સાથે જોડવા તથા લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે આરએસસી ભાવનગર સતત વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કરતું રહે છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 6:16 pm

લાંબા સમય બાદ TP શાખા એક્શનમાં:રાજકોટનાં મવડીમાં રૂપિયા 108.37 કરોડની 11,660 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ, કુલ 25 બાંધકામો પર બુલડોઝર ફેરવાયું

રાજકોટ મનપાની હંમેશાં ચર્ચામાં રહેલી ટીપી શાખા લાંબા સમય બાદ એક્શનમાં આવી છે. અને ગેરકાયદે બાંધકામો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે આજે TP શાખાએ વેસ્ટ ઝોનના મવડી વિસ્તારમાં જુદા-જુદા 7 સ્થળોએ ઓપરેશન ડિમોલિશન હાથ ધર્યું હતું. આ કાર્યવાહીમાં 18 ઝૂંપડાં અને 6 મકાન સહિત કુલ 25 ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ ડિમોલિશન દ્વારા રૂ. 108.37 કરોડની અંદાજિત કિંમતની જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી. ડિમોલિશનની કામગીરીની વિગતો આજના ડિમોલિશનની કામગીરીમાં વોર્ડ નં. 12માં 5 સ્થળોએ કાર્યવાહી કરાઈ હતી. જેમાં મવડીમાં TP 11, આકાશદીપ સોસા.માં આવેલ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેતુના પ્લોટમાંથી 4 ઝૂંપડાં, નજીકના વાણિજ્ય હેતુના પ્લોટમાંથી લાકડાનું સ્ટ્રક્ચર, બાજુમાં જ SEWS (સોશિયલ ઇકોનોમિકલી વીકર સેક્શન)ના પ્લોટમાંથી 2 કાચા-પાકા મકાન, આકાશદીપ સોસાયટીમાં સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અન્ય પ્લોટમાંથી 4 પાકા મકાન, TP 27માં સવન સર્કલ, મવડી ગામતળની બાજુમાંથી 4 ઝૂંપડાંના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. તેમજવોર્ડ નં. 11માં મવડીમાં TP 26 કસ્તૂરી કાસા એપાર્ટમેન્ટ સામે 4 ઝૂંપડાંના બાંધકામ ઉપર પણ બુલડોઝર ફેરવી દેવાયું હતું. આ 6 પ્લોટમાંથી દબાણો દૂર કરીને 11660 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાવાઈ છે. TP શાખાના જણાવ્યા મુજબ, આ જગ્યાની અંદાજિત કિંમત પ્રતિ ચો.મી. રૂ. 80 હજારથી રૂ. 1 લાખ લેખે કુલ રૂ. 108.37 કરોડ જેટલી થાય છે. તો વેસ્ટ ઝોનમાં જ વોર્ડ નં. 11માં મવડી ગામતળની બાજુમાં અને મોટા મવા સ્મશાન સામે આવેલ વોંકળામાં પણ 6 ઝૂંપડાં બંધાઈ ગયા હતા. આ ઝૂંપડાં હટાવીને 450 ચો.મી. બાંધકામ ખુલ્લું કરાયું હતું. TP શાખા સહિત વિવિધ વિભાગોનો સહયોગ મનપા કમિશનરના આદેશાનુસાર અને ટાઉન પ્લાનિંગ ઓફિસરના માર્ગદર્શન હેઠળ TP શાખા દ્વારા આજે આ ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં વેસ્ટ ઝોનના અધિકારીઓ, ટાઉન પ્લાનર, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર, તમામ આસિસ્ટન્ટ એન્જિનિયર, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર, હેડ સર્વેયર, સર્વેયર અને વર્ક આસિસ્ટન્ટનો કાફલો જોડાયો હતો. આ ઉપરાંત, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જગ્યા રોકાણ શાખા, ફાયર વિભાગ, રોશની વિભાગ અને વિજિલન્સ પોલીસ સ્ટાફનો પણ સહયોગ લેવામાં આવ્યો હતો. જોકે, આજે માત્ર વેસ્ટ ઝોનમાં કામગીરી કરવામાં આવી છે. ત્યારે હવે આગામી સમયમાં સેન્ટ્રલ ઝોન અને ઇસ્ટ ઝોનના અધિકારીઓ દ્વારા પણ જે-તે ઝોનમાંથી ગેરકાયદે બાંધકામો હટાવવામાં આવે તેવી શક્યતા છે. ડિમોલિશન સ્થળો મવડી આકાશદીપ સોસાયટી (સો. ઇન્ફ્રા. પ્લોટ): 4 ઝૂંપડાં આકાશદીપ સોસાયટી (SEWS પ્લોટ): 2 કાચા-પાકા મકાન આકાશદીપ સોસાયટી (સો. ઇન્ફ્રા. અન્ય પ્લોટ): 4 પાકા મકાન મવડી ગામતળ પાસે (TP 27, સવન સર્કલ): 4 ઝૂંપડાં મવડી કસ્તૂરી કાસા એપાર્ટમેન્ટ સામે (TP 26): 4 ઝૂંપડાં મોટા મવા સ્મશાન સામેનો વોંકળો: 6 ઝૂંપડાં ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં વિરોધ પક્ષ કૉંગ્રેસે જનરલ બોર્ડમાં TP શાખા દ્વારા આપવામાં આવેલી નોટિસની સંપૂર્ણ કાર્યવાહી અને લેવાયેલાં પગલાંની લેખિતમાં માહિતી માંગી હતી. કૉંગ્રેસના આ પ્રશ્નથી TP શાખામાં ધડાકા સાથે ખળભળાટ મચી ગયો હતો. અને લાંબા સમયથી બંધ પડેલા બુલડોઝર આજે ધણઘણ્યા હતા. ત્યારે જનરલ બોર્ડમાં TP શાખાની સુસ્ત કામગીરી સામે સવાલો ઉઠતા આ કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું મનપામાં ચર્ચાઈ રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 6:13 pm

પાટણ શહેરને ટ્રાફિકમાંથી રાહત મળશે:શિહોરીથી ઊંઝા બાયપાસને મુખ્યમંત્રીની સૈદ્ધાંતિક મંજૂરી, વાહનચાલકોમાં ખુશી

પાટણ શહેરની લાંબા સમયથી પડતર માંગણી સંતોષાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિહોરીથી ઊંઝા સુધીના મહત્ત્વપૂર્ણ બાયપાસ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ બાયપાસના નિર્માણથી શહેરને ટ્રાફિક જામ અને અકસ્માતોની સમસ્યામાંથી મોટી રાહત મળશે. જેથી વાહનચાલકોમાં ખુશી જોવા મળી રહી છે. હાલમાં, પાટણ શહેરના મુખ્ય માર્ગો પરથી બનાસ નદીના કિનારે દરરોજ 2000થી વધુ ભારે ટ્રકો અને અન્ય વાહનો પસાર થાય છે. આના કારણે શહેરીજનોને ગંભીર ટ્રાફિક જામ અને અકસ્માતોનો સામનો કરવો પડતો હતો, જે એક મોટી સમસ્યા બની રહી હતી. આ ગંભીર સમસ્યાના નિરાકરણ માટે પાટણના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, નગરપાલિકા અને જિલ્લાના પદાધિકારીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ બે વખત રૂબરૂ રજૂઆત કરી હતી. તેમણે બાયપાસ પ્રોજેક્ટને વહેલી તકે મંજૂરી આપવા વિનંતી કરી હતી. મુખ્યમંત્રીની સૈદ્ધાંતિક મંજૂરી બાદ હવે આ બાયપાસ માટે જમીન સંપાદન પ્રક્રિયા શરૂ થશે. હુડકોના ચેરમેન કે.સી. પટેલે જણાવ્યું હતું કે, જમીન સંપાદન, ખર્ચની જોગવાઈ અને વન વિભાગ સંબંધિત તમામ જરૂરી વ્યવસ્થાઓ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પાટણ જિલ્લા અને શહેર માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 6:10 pm

બિહારમાં NDAની જીત થતાં પાલનપુરમાં ઉત્સાહ:ભાજપ કાર્યકરોએ આતશબાજી સાથે જીતની ઉજવણી કરી

બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA ની જીત બાદ પાલનપુરમાં ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. શહેરના ગુરુનાનક ચોક ખાતે ભાજપના કાર્યકરો અને નેતાઓએ આતશબાજી કરીને ખુશી વ્યક્ત કરી હતી. આ ઐતિહાસિક જીતને પગલે ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં કાર્યકરો એકત્રિત થઈને બિહારમાં NDA ની જીતની ઉજવણીમાં જોડાયા હતા. આ પ્રસંગે ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે, આ જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર અને બિહાર સરકારની 'ડબલ એન્જિન' સરકાર દ્વારા થયેલા વિકાસની જીત છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ વિકાસલક્ષી છે. બિહારની જનતાએ મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિને સમર્થન આપીને આ વિજય અપાવ્યો છે. ભાજપના નેતાઓએ બિહારની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે, NDA સરકાર હેઠળ બિહારનો વિકાસ દેશના વિકાસ સાથે જોડાઈને રાજ્ય પ્રગતિ કરશે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 6:02 pm

ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ.જવાહરલાલ નહેરૂની જન્મજયંતિ:ભરૂચ કોંગ્રેસે પંડિત નહેરુની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પી

ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ.જવાહરલાલ નહેરૂની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલીનો કાર્યક્રમ યોજાયો હતો. સ્વ. જવાહરલાલ નહેરુનો જન્મ 14 નવેમ્બર 1889માં અલ્હાબાદમાં થયો હતો. સ્વતંત્રતાની ચળવળમાં પણ જવાહરલાલ નેહરુનું મહત્વનું યોગદાન હતું. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમનો પાયો પણ જવાહરલાલ નહેરુએ જ નાંખ્યો હતો ત્યારે દીર્ઘદ્રષ્ટા જવાહરલાલ નહેરુની જન્મ જ્યંતી નિમિતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે નહેરુજીની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 5:57 pm

બિહારમાં NDA ઐતિહાસિક જીત તરફ! PM મોદીએ કહ્યું- 'આ સુશાસન અને વિકાસની જીત'

PM Narendra Modi Reaction On Bihar Election Result 2025 : બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAએ દમદાર જીત મેળવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે NDAની જીતને સુશાસન અને વિકાસની જીત ગણાવી છે. વડાપ્રધાન મોદીએ બિહાર ચૂંટણી અંગે સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘સુશાસનની જીત થઈ છે, વિકાસની જીત થઈ છે, જન-કલ્યાણની ભાવનાની જીત થઈ છે, સામાજિક ન્યાયની જીત થઈ છે.’ પ્રચંડ જીત અપાવનાર બિહારવાસીઓનો ખૂબ ખૂબ આભાર : PM મોદી વડાપ્રધાને વધુમાં લખ્યું છે કે, ‘બિહાર વિધાનસભા ચૂંટણી-2025માં NDAને ઐતિહાસિક અને અભૂતપૂર્વ જીતના આર્શિવાદ આપનાર બિહારમાં મારા પરિવારજનોનો ખૂબ-ખૂબ આભાર.

ગુજરાત સમાચાર 14 Nov 2025 5:57 pm

આવતા અઠવાડિયાથી ઠંડી વધશે:અમદાવાદથી મુંબઈની 'સ્લીપર વંદે ભારત ટ્રેન'નું ટ્રાયલ સફળ, સુરતમાં બાળકી પર યુવકે બાઇક ચડાવી દીધી, CCTV

આદિવાસી ઢબમાં નિમંત્રણ પાઠવવા નીકળ્યા મંત્રીઓ-સાંસદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 નવેમ્બરના રોજ ગુજરાતની મુલાકાત છે. ત્યારે આદિવાસી સમાજના લોકોએ પરંપરાગત રીતે આમંત્રણ આપવા તાલુકામાં પ્રભાતફેરીનું આયોજન કરાયું હતું. આ પ્રભાતફેરીમાં નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી, સહકાર મંત્રી ઇશ્વર પટેલ ભરૂચ સાંસદ મનસુખ વસાવા ભાજપ પ્રમુખ નીલ રાવ સાથે મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, યુવાનો, મહિલાઓ તથા વિવિધ સંસ્થાના કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જ્યારે આજે સવારે , DyCM સંઘવીએ વડાપ્રધાનના કાર્યક્રમની લઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો કાલથી રાજકોટ-પોરબંદરની મુસાફરી માત્ર 45 રૂપિયામાં પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ અને પોરબંદર વચ્ચે બે નવી લોકલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનાં પ્રયાસો બાદ શરૂ થયેલી આ ટ્રેનને આજે માંડવિયાએ લીલીઝંડી આપી. એટલું જ નહીં આ ટ્રેનમાં મુસાફરી કરીને માંડવિયા તેમજ અર્જુન મોઢવાડીયા પોરબંદર જવા રવાના થયા. આ બંને ટ્રેનો આવતીકાલ એટલે કે 15 નવેમ્બરથી શરૂ થશે અને રાજકોટ-પોરબંદર માત્ર 45 રૂપિયામાં મુસાફરી કરી શકાશે. આ બંને લોકલ ટ્રેનો હોવાથી ગોંડલથી લઈને રાણાવાવ સુધીના તમામ સ્ટેશનોને પણ આવરી લેવાશે. જો કે, પૈકી એક ટ્રેન દરરોજ જ્યારે બીજી સપ્તાહમાં 5 દિવસ ચાલશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો દેશની પ્રથમ 'સ્લીપર વંદે ભારત ટ્રેન'નું સફળ ટ્રાયલ દેશની પ્રથમ 'સ્લીપર વંદે ભારત ટ્રેન'નું ટ્રાયલ આજે (14 નવેમ્બર) અમદાવાદથી મુંબઈની વચ્ચે કરવામાં આવ્યું હતું. સવારે અમદાવાદથી 130ની સ્પીડે સ્લીપર વંદે ભારત ટ્રેન નીકળી હતી, જેમાં રસ્તામાં આવતા વડોદરા, સુરત સહિતના સ્ટેશન પર માત્ર તેની એક ઝલક જોવા મળી હતી. દેશની પહેલી નોનસ્ટોપ ‘સ્લીપર વંદે ભારત ટ્રેન’નું બીજુ ટ્રાયલ સફળ રહ્યું છે. આ ટ્રેનમાં 16 કોચ છે, જેના રેકમાં ફેરફાર કરાયેલી બોગીઓ છે. વંદે ભારત ટ્રેનથી પણ વધુ અધ્યતન સુવિધાઓ સ્લીપર વંદે ભારે ટ્રેનમાં કરવામાં આવી છે. આ ટ્રેન શરૂ થતાં હવે માત્ર 5 કલાકમાં જ અમદાવાદથી મુંબઈ પહોંચી શકાશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો હેલ્લારો ફિલ્મની એક્ટ્રેસને કેબ-ડ્રાઇવરે ધમકી આપી ગુજરાતી ફિલ્મ 'હેલ્લારો'ની અભિનેત્રી અને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મેળવનારી અભિનેત્રી નીલમ પંચાલને કેબ-ડ્રાઇવરનો કડવો અનુભવ થયો હોવાની ઘટના બની હતી. નીલમ પંચાલે અમદાવાદમાં પોતાના ઘરેથી કાલુપુર રેલવે સ્ટેશન જતી હતી ત્યારે ટેક્સીમાં ડ્રાઇવર તેને ધમકી આપી રહ્યો છે, જેથી પોતે તે અસુરક્ષિત અનુભવી રહી છે એવી સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી હતી. અમદાવાદ પોલીસ અને ગુજરાત પોલીસને ટેગ કરીને X પર પોસ્ટ કરવામાં આવતાં તાત્કાલિક અમદાવાદ પોલીસ હરકતમાં આવી હતી અને ટ્રાફિક-પોલીસના પી.આઈ કાલુપુર રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો 9 વર્ષની ગુમ બાળકીની લાશ પ્લાસ્ટિકના કોથળામાંથી મળી ગાંધીનગરના ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારના રાયપુર ગામમાંથી 12 નવેમ્બર 2025ની બપોરે ગુમ થયેલી 9 વર્ષ 11 મહિનાની બાળકીની 13 નવેમ્બર 2025ની રાત્રે તેના ઘર નજીકથી જ પ્લાસ્ટિક કોથળામાં પેક કરેલી હાલતમાં લાશ મળી છે. બાળકીની લાશ મળતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. મૃતકના પાડોશીએ જ બાળકી સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરી લાશને કોથળામાં નાખી બાજુના ઘરના ઓસરીમાં નાખી હોવાના અનુમાન સાથે શંકાના દાયરામાં છે. જ્યારે શંકાસ્પદ શખસના બાળકે બે અલગ અલગ સ્ટેટમેન્ટ આપ્યાં હતાં. પહેલા 500 રૂપિયાની લાલચ આપી કોઈ અપહરણ કરી ગયું હોવાનું બાદમાં નદી તરફ જતી જોઈ હોવાનું જણાવ્યું હતું. ગાંધીનગર પોલીસ હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો મૌલવીએ સુગંધી પાણી પીવડાવી દુષ્કર્મ આચર્યું અંકલેશ્વરના છેવાડાના અને સુરત જિલ્લાને અડીને આવેલા એક ગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને હચમચાવી દેનારી એક ગંભીર ઘટના સામે આવી છે. અહીં મદ્રેસાના મૌલવીએ એક મહિલાને લગ્નની લાલચ આપી, સુગંધી પાણી પીવડાવી બેભાન કરી દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં ધર્માંતરણ માટે ધમકી આપી હતી. આ મામલે પાનોલી પોલીસે આરોપી મૌલવીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો 'એકના ડબલ' કરતી ગેંગનો સાગરીત ઝડપાયો ભુજમાં સસ્તા સોના અને નકલી ચલણી નોટોના નામે સ્થાનિક સાથે પરપ્રાંતીય લોકો સાથે છેતરપિંડી કરાઈ હોવાની અનેક ઘટનો બાદ પણ આ સિલિસલો ચાલુ રાખતી એક ગેંગનો પર્દાફાશ થયો છે. એલસીબીએ એકની અટકાયત કરી અન્ય ચારની સંડોવણી ખુલી પાડી છે. આરોપીઓ સોશિયલ મીડિયા પર એક લાખના બદલે પાંચ લાખ અને સસ્તા ભાવે સોનાની ઓફર કરીને છેતરપિંડી કરતા હતા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો પિતૃમોક્ષ માટે માતાએ 2 બાળકનાં ગળાં દબાવી દીધાં નવસારીના બીલીમોરામાં ફિલ્મ 'વશ' જેવી ઘટના સામે આવી છે. એક મહિલાને સપનામાં આદેશ થતાં તેણે મધરાતે તેનાં બે બાળકની ગળું દબાવીને હત્યા કરી દીધી છે. એ બાદ તેના સસરા પર ગ્લાસ વડે હુમલો કર્યા બાદ બચકું ભરીને કાન તોડી નાખ્યો હતો. જોકે સસરા ઘરમાંથી ભાગી જતાં તેમનો જીવ બચી ગયો છે. પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચી દરવાજો તોડ્યો તો મહિલા બાળકોની લાશ પાસે બેઠી હતી. પોલીસે મહિલાને ઝડપી લીધી છે અને બંને બાળકોના મૃતદેહને પી.એમ અર્થે ખસેડીને આગળની કાર્યાવહી હાથ ધરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો 3 વર્ષની બાળકી પર બાઇક ચડાવી દીધી સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી મંગલદીપ સોસાયટીમાં ગુરુવારે (13 નવેમ્બર, 2025)ને બપોરે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘરની બહાર રમી રહેલી ત્રણ વર્ષની માસૂમ બાળકી પર બેફામ રીતે આવી રહેલા એક બાઈકચાલકે બાઈક ચડાવી દેતાં તે ઇજાગ્રસ્ત થઈ હતી. અકસ્માત સર્જનારે બાઈક પર જરૂર કરતાં વધુ પાંચ જેટલાં કાપડનાં પાર્સલ ભરેલાં હોવાને કારણે તેને આગળ રમી રહેલી બાળકી નજરે ન પડી હતી. એના લીધે અકસ્માત સર્જાયો હતો. એ બાદ પણ બાળકીને દવાખાને લઈ જવાને બદલે અકસ્માત સર્જનાર બાઈક લઈને ફરાર થઈ ગયો હતો, જે સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો આવતા અઠવાડિયાથી ઠંડી વધવાની આગાહી ગુજરાતમાં શિયાળો ધીમે-ધીમે જામી રહ્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ, ગત રોજ સૌથી ઠંડું શહેર અમરેલી નોંઘાયું છે. અહીં લઘુતમ તાપમાનનો પારો ગગડીને 13.2 ડિગ્રીએ પહોંચ્યો છે. આ સાથે નલિયા 13.5 ડિગ્રી સાથે બીજા નંબરનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, આવતા સપ્તાહથી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 5:55 pm

લખપતમાં SC શિક્ષકોને માનસિક ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ:ડમી નામ ધારણ કરી કોઈ વ્યક્તિએ તથ્ય વગરની નનામી અરજીઓ કરી, કાર્યવાહીની માગ સાથે મામલતદારને આવેદન

લખપત તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા અનુસૂચિત જાતિના શિક્ષકોને મોબાઈલ ફોન અને નનામી અરજીઓ દ્વારા માનસિક ત્રાસ અપાતો હોવાની આક્ષેપ સાથે લેખિત રજૂઆત તાલુકા સમસ્ત અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા મામલતદાર સમક્ષ કરવામાં આવી છે. આ રજૂઆતમાં અજ્ઞાત વ્યક્તિ સામે કાયદેસર કાર્યવાહીની માગ કરાઈ છે. આગેવાનોએ રજૂઆતમાં જણાવ્યું કે, લખપત તાલુકામાં વર્ષોથી ફરજ બજાવતા સ્થાનિક અનુસૂચિત જાતિના પ્રાથમિક શિક્ષકો વિરૂદ્ધ અલગ અલગ ડમી નામ ધારણ કરીને કોઈ વ્યક્તિ દ્વારા તથ્ય વગરની નનામી અરજીઓ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, કચ્છને કરવામાં આવી રહી છે. આ અરજીઓ દ્વારા શિક્ષકો પર ખોટા વહીવટી આક્ષેપો કરીને તેમને માનસિક ત્રાસ આપવામાં આવે છે અને તેમની ફરજમાં દખલગીરી કરવામાં આવે છે. આનાથી શિક્ષકોને કામ કરવામાં મુશ્કેલી પડે છે. લખપત તાલુકા સમસ્ત અનુસૂચિત જાતિના આગેવાનો રમેશ જી. બલિયા, ખીમજી મુરાભાઈ ખંભુ, સુમાર શિવજી મહેશ્વરી, ગોપાલ હમીર માતંગ, પરબત નારાણ બલિયા, અશોક દેવજી સોલંકી સહિત 40 લોકોની સહીઓ સાથે આ રજૂઆત કરાઈ હતી. તેમણે નનામી અરજીઓ કરનાર મોબાઈલ ધારક અને વ્યક્તિ સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ કાયદેસર કાર્યવાહીની માગ કરી છે. આગેવાનોએ ચીમકી આપી છે કે, જો ભવિષ્યમાં તેમની સમાજના શિક્ષકો પર આવી ખોટી કનડગત કરતી અરજીઓ કરવામાં આવશે અને શિક્ષકોને કોઈ પણ પ્રકારની હાની થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી નનામી અરજી કરનાર વ્યક્તિની રહેશે. આ અંગે લખપત તાલુકા અનુસૂચિત જાતિના અગ્રણી અને એડવોકેટ રમેશ બલિયાએ જણાવ્યું કે, છેલ્લા એકાદ માસથી આ પ્રકારે સમાજના શિક્ષકોને નિશાન બનાવવામાં આવતા હોવાની ફરિયાદો મળી હતી, આખરે સૌ સહમત થઈ તંત્ર સમક્ષ યોગ્ય ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 5:51 pm

તસ્વીરો નું પ્રદર્શન:ભાવનગરમાં પ્રકૃતિનાં પગથિયેથી અને હિમગિરીની ગોદમાં તસવીર પ્રદર્શનોનું આયોજન

ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીના આર્થિક સહયોગ અને Exploring BHAVNAGAR અંતર્ગત ભાવનગરમાં બે અદભુત તસવીર પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું છે, જે કલા અને પ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે જેમાં પ્રકૃતિનાં પગથિયેથી અને હિમગિરીની ગોદમાં તસવીર પ્રદર્શનોનું ત્રણ દિવસ આયોજન કરવામાં આવ્યું છે, જે આજે મહાનુભાવોના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું, ​પ્રકૃતિનાં પગથિયેથી ​પ્રથમ વિંગમાં તસવીરકાર જતીન ઘેલાણી દ્વારા લેવામાં આવેલી તસવીરોનું પ્રદર્શન પ્રકૃતિનાં પગથિયેથી શીર્ષક હેઠળ યોજાયું છે. આ પ્રદર્શનમાં ભાવનગરની સ્થાનિક પ્રકૃતિને નજીકથી માણવા, જાણવા અને અનુભવવા મળે તેવાં દૃશ્યો રજૂ કરાયાં છે. આ તસવીરો ભાવનગરના કુદરતી સૌંદર્યને ઉજાગર કરે છે અને અહીંની પ્રકૃતિની અનોખી સુંદરતા દર્શાવે છે. ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના આર્થિક સહયોગથી આયોજિત આ પ્રદર્શન ભાવનગરીઓ માટે પ્રકૃતિ સાથે જોડાવાનો એક ઉત્તમ અવસર છે. ​હિમગિરીની ગોદમાં ​સાથે જ, ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરીની બીજી વિંગમાં ચિરાગસિંહ પરમાર દ્વારા લેવાયેલી તસવીરોનું હિમગિરીની ગોદમાં વિષયક પ્રદર્શન પણ ચાલી રહ્યું છે. આ પ્રદર્શનમાં હિમાલયનાં બરફથી આચ્છાદિત પર્વતો અને તેની અદભુત સુંદરતાને કેમેરામાં કેદ કરવામાં આવી છે. હિમાલયની ભવ્યતા અને શાંતિ દર્શાવતી આ તસવીરો પણ મુલાકાતીઓ માટે ખરેખર જોવાલાયક છે. ​ભાવેણાવાસીઓ અને કલાપ્રેમીઓએ શહેરની મધ્યમાં આવેલ સરદારનગર સ્થિત ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી ખાતે તા.14, 15 અને 16 નવેમ્બરના રોજ સમય સવારે 10 થી 1 અને સાંજે 4 થી 8 સુધી ખુલ્લું રહેશે. એક જ સ્થળે યોજાયેલા પ્રકૃતિના આ બંને પ્રદર્શનોનો લાભ લેવા અને સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપવા માટે આ ત્રણ દિવસ દરમિયાન ખાસ મુલાકાત લેવા જેવી છે. આ પ્રદર્શનો નિહાળીને ભાવનગરની પ્રકૃતિની સુંદરતા અને હિમાલયની ભવ્યતાને અનુભવવાનું ચૂકશો નહીં.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 5:49 pm

શિક્ષણમંત્રીના પ્રભારી જિલ્લાના બાળકને CMનું નામ નથી ખબર:કૃષિ યુનિ.માં બિરસા મુંડાની 150મી જન્મજયંતીમાં આવેલા વિદ્યાર્થીએ ભૂપેન્દ્ર પટેલને રાષ્ટ્રપતિ કહ્યા

રાજ્યના શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાના પ્રભારી જિલ્લાના જુનાગઢમાં રાજ્યના શિક્ષણ સ્તર અને સામાન્ય જ્ઞાન અંગે વાસ્તવિકતા રજૂ કરતી ઘટના સામે આવી છે. કૃષિ યુનિવર્સિટી ખાતે બિરસા મુંડાની 150મી જન્મજયંતી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં હાજર રહેલા એક વિદ્યાર્થીએ રાજ્યના CMનું નામ પણ જણાવી શક્યો ન હતો.બીજી તરફ તો રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ભારતના રાષ્ટ્રપતિ કહી દીધા હતાં. 150મી જન્મજયંતી અને જનજાતીય ગૌરવ વર્ષનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી અને જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને ખૂબ જ ઉત્સાહભેર યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહાનુભાવો, લાભાર્થીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. જોકે, આ ગૌરવપૂર્ણ કાર્યક્રમની ઉજવણી વચ્ચે એક વિદ્યાર્થીે મુખ્યમંત્રી અને રાષ્ટ્રપતિ વિશે આપેલા નિવેદને આયોજનના હેતુ અને શિક્ષણ સ્તર પર સવાલો ઊભા કર્યા છે. કાર્યક્રમમાં આવેલા વિદ્યાર્થીને CM અને રાષ્ટ્રપતિ વિશે ખ્યાલ નહીંઉજવણીના આ કાર્યક્રમમાં આવેલ એક શાળાના વિદ્યાર્થીને જ્યારે મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું કે તે અહીં શું કરવા આવ્યો છે, ત્યારે વિદ્યાર્થીે નિષ્કપટતાથી જવાબ આપ્યો કે, આજે અહીં પ્રોગ્રામ હતો તો સાહેબ લાવ્યા છે. અહીં મુખ્યમંત્રી બધું બતાવે છે માટે લાવ્યા છે.વિદ્યાર્થીના આ જવાબથી ત્યાં હાજર લોકો ચોંકી ઉઠ્યા હતા.જ્યારે વિદ્યાર્થીને જન્મજયંતિ કોની છે, તે વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, જન્મજયંતિ કોની છે એ ખબર નથી. વિદ્યાર્થીએ ભુપેન્દ્ર પટેલને રાષ્ટ્રપતિ ગણાવી દીધાપરંતુ સૌથી ચોંકાવનારી વાત ત્યારે સામે આવી જ્યારે વિદ્યાર્થીને ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે તે વિશે પૂછવામાં આવ્યું. વિદ્યાર્થીે કહ્યું કે કોઈ બેન મુખ્યમંત્રી છે. આનાથી પણ આગળ વધીને, વિદ્યાર્થીને રાષ્ટ્રપતિ વિશે પૂછતા તેણે ભુપેન્દ્ર પટેલને રાષ્ટ્રપતિ ગણાવી દીધા અને કહ્યું કે તે હમણાં આવ્યા હતા. આ જવાબ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં વિદ્યાર્થીોને લાવવાના હેતુ અને તેમના સામાન્ય જ્ઞાન પર મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે. પરંતુ તાજેતરમાં જ કેબિનેટના શિક્ષણ મંત્રી બનેલા ડો. પ્રદ્યુમન વાજાએ જુનાગઢ જિલ્લાના શિક્ષણ અધિકારીઓને થોડી વધારે જ શિક્ષણ સુધારવા સૂચના આપવી પડે તેવું લાગી રહ્યું છે. વિદ્યાર્થીોને બિરસા મુંડાના જીવન વિશે જણાવવા કાર્યક્રમમાં લવાયા- DEOઆ મામલે જ્યારે જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાય સાથે વાત કરવામાં આવી, ત્યારે તેમણે સ્પષ્ટીકરણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયો હતો અને નજીકમાં જે શાળાઓ હોય તેમના વિદ્યાર્થીોને આ કાર્યક્રમમાં લઈ જવામાં આવ્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ વિસ્તારમાં જનજાતિનો વિસ્તાર ઓછો હોવાથી બિરસા મુંડા વિશે વધુમાં વધુ ખ્યાલ આવે તે માટે આ વિદ્યાર્થીોને અહીં કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા. અધિકારીના કહેવા મુજબ, વિદ્યાર્થીોને ભગવાન બિરસા મુંડાના જીવન અને આદિજાતિ સમાજના ગૌરવપૂર્ણ યોગદાન વિશે જાગૃત કરવાના ઉદ્દેશ્યથી લાવવામાં આવ્યા હતા. 'આઝાદીના લડવૈયાઓના જીવનમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન'કાર્યક્રમની ગૌરવપૂર્ણ ઉજવણીમાં જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજે દેશની સંસ્કૃતિ અને સ્વતંત્રતાની રક્ષા માટે બિરસા મુંડાની આગેવાનીમાં લડત ચલાવી હતી. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ અને બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે આઝાદીના લડવૈયાઓના જીવનમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. તેમણે વિકસિત ભારત માટે વોકલ ફોર લોકલ એટલે કે સ્વદેશી વસ્તુઓ અપનાવવાનું પણ આહવાન કર્યું હતું. 'બિરસા મુંડાએ માત્ર 25 વર્ષની નાની ઉંમરે અંગ્રેજો સામે લડત કરી'ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ 2021 માં ભગવાન બિરસા મુંડાના જન્મદિવસ (15મી નવેમ્બર)ને ‘જન જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય કરાયો હતો. તેમણે બિરસા મુંડાએ માત્ર 25 વર્ષની નાની ઉંમરે અંગ્રેજો સામે બાથ ભીડીને ભારતની આઝાદી માટે લડત ચલાવી હતી, તે વાત પર પ્રકાશ પાડ્યો હતો. યોજનાઓના લાભાર્થીઓને પ્રમાણપત્ર અપાયાઆ પ્રસંગે મહાનુભાવોના હસ્તે આદિજાતિ સમુદાયના તેજસ્વી વિધાર્થીઓ, રમતવીરો, શ્રેષ્ઠ કર્મચારીઓ અને સરકારી કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. મહિલા અધિકારો આદર અને સન્માન તેમજ મહિલાઓ પર થતી સતામણી અધિનિયમ 2013 અંગે મહિલા અને બાળ વિકાસ અધિકારી ચેતનભાઈ સોજીત્રાએ માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના આરંભે સ્વાગત પ્રવચન આયોજન અધિકારી આર. એમ. ગંભીરે કર્યુ હતું. તેમજ આભાર વિધિ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે કરી હતી. સ્ટોલ નિદર્શન અને હેલ્થ કેમ્પનું આયોજનઆ ઉપરાંત, પશુપાલન વિભાગ, પ્રાકૃતિક કૃષિ, ખેતીવાડી શાખા, મહિલા લક્ષી યોજનાઓ, આઈસીડીએસ દ્વારા વાનગી નિદર્શન, સમાજ સુરક્ષા સહિતના વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ નિદર્શન અને હેલ્થ કેમ્પનું પણ સફળ આયોજન કરવામાં આવ્યું હતું. બહાઉદીન કોલેજના અધ્યાપક બી. એસ. રાઠોડે પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમના અંતે સૌ કોઈએ સ્વદેશી વસ્તુ અપનાવવા માટેના શપથ લીધા હતા. વિદ્યાર્થીઓને અપાતાં સામાન્ય જ્ઞાનના શિક્ષણ પર સવાલવિદ્યાર્થીના નિવેદનથી ઊભા થયેલા સવાલો વચ્ચે આ કાર્યક્રમ દ્વારા સરકારનો આશય જનજાતીય ગૌરવને જન-જન સુધી પહોંચાડવાનો સ્પષ્ટ દેખાય છે, પરંતુ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓને લાવતા પહેલા તેમને સામાન્ય જ્ઞાનની પાયાની માહિતીથી સજ્જ કરવા પણ જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 5:44 pm

જન્મદિવસ પર એકલતાનો લાભ લઈ સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું:વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતો, યુવકે સગાઈ તોડી નાખતા પરિવારે ફરિયાદ નોંધાવી

સુરત શહેરના અઠવા વિસ્તારમાં સગાઈ થયા બાદ યુવકે સગીરા સાથે શારીરિક સંબંધ બાંધી તેનો વીડિયો બનાવી લીધો હતો. ત્યાર બાદ તે વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી સગીરાને બ્લેકમેઇલ કરી હોટલમાં બોલાવતો હતો. જોકે, સગીરાએ આ શારીરિક સંબંધોનો ઇનકાર કરતા યુવકે સગાઈ તોડી નાખી હતી. આખરે ભોગ બનનાર સગીરાના પરિવારે આ મામલે અઠવાલાઈન્સ પોલીસ મથકમાં યુવક વિરૂદ્ધ દુષ્કર્મ અને બ્લેકમેઇલિંગની ફરિયાદ નોંધાવી છે. 3 નવે.ના રોજ સગીરા અને યુવકની સગાઈ થઈ હતીબનાવની વિગત અનુસાર, સુરત જિલ્લાના કામરેજ તાલુકાના આંબોલી ગામમાં ઓસમાન નગરમાં રહેતા અને ફોટોશૂટની દુકાનમાં કામ કરતા તૌકીર નાસીર શાહ નામના યુવકની સગાઈ શહેરના અઠવા વિસ્તારમાં રહેતી એક સગીરા સાથે 3 નવેમ્બર, 2024ના રોજ પરિવારની મરજીથી થઈ હતી. સગાઈ થયા બાદ તૌકીર અવારનવાર તેની વાગ્દત્તાને મળવા માટે તેના ઘરે આવતો હતો. આ સમયગાળા દરમિયાન તે સગીરાને અનેકવાર સ્પર્શ કરીને અડપલાં પણ કરતો હતો. જન્મદિવસ પર શારીરિક સંબંધ બાંધી યુવકે વીડિયો બનાવ્યોત્યાર બાદ 12 મે, 2025ના રોજ સગીરાનો જન્મદિવસ હતો. તે દિવસે સગીરા ઘરે એકલી હતી. આ એકલતાનો લાભ ઉઠાવી તૌકીર શાહ તેના ઘરે આવ્યો હતો. તેણે બળજબરીથી સગીરા સાથે શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યો હતો. એટલું જ નહીં, પરંતુ તેણે પોતાના મોબાઈલ ફોનમાં આ કૃત્યનો વીડિયો પણ ઉતારી લીધો હતો. ફોટા વાઈરલ અને સગાઈ તોડી નાખવાની ધમકી આપતોવીડિયો બનાવ્યા બાદ તૌકીર શાહ સગીરાને બ્લેકમેઇલ કરવા લાગ્યો. સપ્ટેમ્બર 2025માં તૌકીર સગીરાને ફરવા લઈ જવાના બહાને હોટલમાં પણ લઈ ગયો હતો. ત્યાં પણ તેણે બળજબરીથી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જ્યારે પણ સગીરા તૌકીરની શારીરિક સંબંધ બાંધવાની માગણીનો વિરોધ કરતી અથવા બહાર મળવા જવાની ના પાડતી ત્યારે તૌકીર તેને તારા ફોટા વાઇરલ કરી દઈશ અને સગાઈ તોડી નાખીશ તેવી ધમકી આપતો હતો. આ ધમકીઓથી ડરીને કિશોરી તેની સાથે જવા મજબૂર બની હતી. સગીરાએ આ અંગે જાણ કરતા પરિવારે ફરિયાદ નોંધાવીજોકે, થોડા સમય બાદ સગીરાએ તૌકીર સાથે બહાર હોટલમાં જવા અને શારીરિક સંબંદોની માગણીનો સ્પષ્ટ ઇનકા કર્યો હતો. જેને લઈને ગુસ્સે ભરાઈને તૌકીર શાહે સગારી સાથે ઝઘડો કરીને સગાઈ તોડી નાખી હતી. આખરે યુવકના બ્લેકમેલિંગ અને દુષ્કર્મના ત્રાસથી કંટાળી સગીરાએ પરિવારને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જે બાદ પરિવારે અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે તૌકીર નાસીર શાહ વિરૂદ્ધ બળાત્કારનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 5:40 pm

બિહાર ચૂંટણી : હત્યા કેસમાં જેલમાં બંધ JDU ઉમેદવાર અનંત સિંહની જીત, છઠ્ઠી વખત બનશે ધારાસભ્ય

Mokama Election Result 2025 : બિહાર વિધાનસભાની ચૂંટણીમાં હત્યાના કેસમાં જેલમાં ધકેલાયેલા બાહુબલી નેતા અનંત સિંહની મોટી જીત થઈ છે. અનંત સિંહ જનતા દળ યુનાઈટેડ તરફથી મોકામા બેઠક પરના ઉમેદવાર છે અને તેમણે આરજેડીના મહિલા ઉમેદવારને મોટી હાર આપી છે. મોકામામાં અનંત સિંહ સામે રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના ઉમેદવાર વીણા દેવી ચૂંટણી મેદાનમાં હતાં. જેમાં અનંત સિંહે વીણા દેવીને 28 હજાર મતોથી હરાવીને ફરી જીત મેળવી છે. અનંત સિંહને 91416 મત મળ્યા છે, જ્યારે વીણા દેવીને 63210 મત મળ્યા છે. મોકામા બેઠક બાહુબલી અને પ્રભાવશાળી વ્યક્તિત્વના કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે.

ગુજરાત સમાચાર 14 Nov 2025 5:38 pm

બોડેલી-કવાંટ રોડ મુદ્દે લોકોએ ચક્કાજામ કર્યો:અધિકારીઓની બાંહેધરી પછી મામલો થાળે પડ્યો

બોડેલી-કવાંટ રોડની ખરાબ હાલતને કારણે મગનપુરા પાસે સ્થાનિક લોકોએ ચક્કાજામ કર્યો હતો. આના પરિણામે લગભગ બે કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. છોટાઉદેપુર જિલ્લામાં બે વર્ષ પહેલા નેશનલ હાઈવે 56 પર શિહોદ પાસે ભારજ નદીનો પુલ તૂટી ગયો હતો. ત્યારથી ટ્રાફિકને રંગલી ચોકડીથી બોડેલી-કવાંટના રસ્તા પર વાળવામાં આવ્યો છે, જેના કારણે આ માર્ગ પર વાહનવ્યવહારનું ભારણ નોંધપાત્ર રીતે વધી ગયું છે. ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને સતત વાહનવ્યવહારને કારણે આ રસ્તો અત્યંત ખખડધજ થઈ ગયો છે. સ્થાનિક લોકોને આ માર્ગ પરથી પસાર થવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાથી કંટાળીને આજે પંથકના લોકોએ બોડેલી-કવાંટ રસ્તા પર મગનપુરા ગામના પાટિયા પાસે ચક્કાજામ કર્યો હતો. તેઓએ તાત્કાલિક રસ્તો બનાવવાની માંગ કરી હતી. લગભગ અડધા કલાક સુધી ટ્રાફિક જામ રહેતા વાહનોની બે કિલોમીટર લાંબી કતારો લાગી ગઈ હતી. ચક્કાજામની જાણ થતા બોડેલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ સ્થાનિક લોકો રોડ ખાતાના અધિકારીઓ આવે ત્યાં સુધી હટ્યા ન હતા. રોડ ખાતાના અધિકારીઓએ બે દિવસમાં રસ્તો રિપેર કરવાની બાંહેધરી આપતા લોકો રસ્તા પરથી ઉઠ્યા હતા. ત્યારબાદ બોડેલી પોલીસે રસ્તો ખુલ્લો કરીને ટ્રાફિક સામાન્ય બનાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 5:30 pm

બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની જીત થતાં આણંદમાં જશ્ન:સાંસદ જનસેવા કાર્યાલય ખાતે ભાજપે ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી

બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA (ભાજપ અને તેના સહયોગી પક્ષો) ની જીત બાદ આણંદમાં ભાજપ કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. સાંસદ મિતેષ પટેલના જનસેવા કાર્યાલય ખાતે ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. બિહાર વિધાનસભાની 243 બેઠકો માટે 6 અને 11 નવેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન યોજાયું હતું. આજરોજ સવારથી મતગણતરી શરૂ થઈ હતી, જેમાં શરૂઆતથી જ NDA બહુમતીના આંકડાને પાર કરી ગયું હતું. જીત નિશ્ચિત થતાં જ દેશભરમાં ભાજપ દ્વારા ઉજવણી શરૂ થઈ ગઈ હતી. આણંદ જિલ્લા ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સાંસદના જનસેવા કાર્યાલય ખાતે એકઠા થયા હતા. તેમણે NDA ની જીતની ખુશીમાં ફટાકડા ફોડ્યા અને એકબીજાને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરી હતી.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 5:29 pm

ગાંધીનગરમાં વન્ય પ્રાણીની દહેશત:પાલજના પૂર્વ સરપંચના ફાર્મમાં દીપડાએ બે પાડાનું મારણ કર્યાની આશંકા, વન વિભાગની તપાસ શરૂ

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી વન્યજીવોના આંટાફેરાને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ઝરખ અને શિયાળની હાજરીની ચર્ચા વચ્ચે બે દિવસ પહેલા લેકાવાડા ગામના ખેતરોમાં ખૂંખાર દીપડો જોવા મળ્યાની વાતથી વન વિભાગે તપાસ હાથ ધરી હતી. જોકે, બાદમાં વન વિભાગ દ્વારા આ વાતને અફવા ગણાવી હથિયાર હેઠા મૂકી દીધા હતા. ત્યારે 13 નવેમ્બરની રાત્રે પાલજ વિસ્તારમાં દીપડો આવ્યો હોવાની વાતથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. અહીં ગામના પૂર્વ સરપંચના ફાર્મ હાઉસમાં હિંસક પ્રાણી દ્વારા મારણ કરેલી હાલતમાં બે નાના પાડા મળી આવતા દીપડો કે ઝરખ ગાંધીગરમાં લટાર મારી રહ્યાં હોવાની વાતને આડકતરી રીતે સમર્થન મળી રહ્યું છે. હાલ તો વન વિભાગે પાડાને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી છે. રાત્રે 12 વાગ્યે કૂતરા ભસતા હતા, બે પાડાને ફાડી ખાધાઃ જશવંતસિંહ પાલજ ગામના પૂર્વ સરપંચ જશવંતસિંહ કેસરસિંહ ઠાકોરના ફાર્મમાં આ ઘટના બની છે. તેમણે દાવો કર્યો છે કે, હિંસક પ્રાણીએ તેમના તબેલામાં બાંધેલા બે નાના પાડાનું મારણ કર્યું છે. પૂર્વ સરપંચ જશવંતસિંહ ઠાકોરના જણાવ્યા મુજબ, મારા ફાર્મ ઉપર અમારો ભેંસનો તબેલો છે. એમાં નાના બે પાડાને બુધવારની રાતે કોઈ હિંસક પ્રાણી આવીને હુમલો કર્યો છે. રાત્રે 12 વાગ્યે તો લગભગ હું કૂતરા ભસતા હતા, એટલે ઉઠ્યો હતો. મેં ટોર્ચથી જોયું હતું પણ એવું કંઈ લાગ્યું નહોતું. પછી સવારે 7 વાગ્યે મારા ભેંસો દોહવાવાળા આવ્યા અને એમણે જોયું પછી મને જાણ કરી. મેં જોયું તો બે પાડાને ફાડી ખાધા હતા, એટલે પછી જંગલ ખાતામાં મેં જાણ કરી હતી. વન વિભાગની ટીમે આવીને તપાસ ચાલુ કરી છે. પાડાના પોસ્ટમોર્ટમ બાદ મારણ કરનાર પ્રાણીની ઓળખ થશેબે પશુના મારણની ઘટનાને પગલે વન વિભાગની ટીમ તાત્કાલિક પાલજ પહોંચી ગઈ હતી. ટીમ દ્વારા મૃત પશુઓના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મારણ કરનાર પ્રાણી કયું હતું, તેની પુષ્ટિ કરવા માટે પગના નિશાન અને અન્ય પુરાવા એકઠા કરીને સઘન સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. મંગળવારે લેકાવાડામાં દીપડો દેખાયાની વાતને વન વિભાગે અફવા ગણાવીગત મંગળવારે લેકાવાડામાં દીપડો આવ્યો હોવાની વાતે ખેડૂતોમાં ફફડાટ ફેલાયો હતો. જોકે વન વિભાગે આ વાતને અફવા ગણાવી સંતોષ માની લીધો હતો. ત્યારે બુધવારે પાલજના પૂર્વ સરપંચના ફાર્મમાં હિંસક પ્રાણીએ બે પાડાનું મારણ કરતા ગાંધીનગરમાં દીપડો આંટાફેરા મારતો હોવાની વાતોને આડકતરી રીતે સમર્થન મળી રહ્યું છે. વન વિભાગના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ બાદ જ મારણ કરનાર પ્રાણીની સાચી ઓળખ થઈ શકશે. થોડા દિવસો પહેલાં લોકોએ ઝરખ હોવાનો દાવો કર્યો હતોઉલ્લેખનીય છે કે, પાલજની આ ઘટના પહેલા પણ ગાંધીનગરમાં વન્યજીવોની હાજરી નોંધાઈ છે. થોડા દિવસો અગાઉ સેક્ટર-25 સૂર્યનારાયણ સોસાયટી વિસ્તારના રહીશોએ મંદિર પાસે ઝરખ જોવાનો દાવો કર્યો હતો અને તેનો વીડિયો પણ સામે આવ્યો હતો. જોકે, વન વિભાગને સતત બે દિવસની શોધખોળ બાદ પણ ઝરખની હાજરીના કોઈ નક્કર પુરાવા મળી શક્યા નહોતા. ત્યારબાદ ચ-0થી ચ-1 વચ્ચેના રોડ પર એક શિયાળ મૃત હાલતમાં મળી આવ્યું હતું, જેનું મોત અજાણ્યા વાહનની ટક્કરથી થયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. નવેમ્બર 2018માં વિધાનસભા-સચિવાલય સંકુલમાં દીપડો ઘૂસી ગયો હતો નવેમ્બર 2018માં ગુજરાતના હાઇ સિક્યોરિટી પ્લેસ પૈકીના એક એવા ગાંધીનગરના વિધાનસભા-સચિવાલય સંકુલમાં મધરાતે દીપડો ઘૂસી જતાં ભારે દોડધામ મચી ગઇ હતી. આ ઘટનાને પગલે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર કામનો દિવસ હોવા છતાં 2 કલાક અને 20 મિનિટ સુધી સચિવાલય બંધ રાખવું પડ્યું હતું અને તમામ કામકાજ અટકી પડ્યું હતું. સીએમ અને મંત્રીઓ પણ સચિવાલય આવી શક્યા ન હતા. સચિવાલયમાં જે રીતે ઘૂસ્યો એ જ ચુપકીદીથી બહાર પણ નીકળી ગયેલો દીપડો આખરે 13 કલાક પછી સચિવાલયની પાછળ આવેલા સીએમના રૂટ વીઆઇપી રોડ-2 પરથી ભારે જહેમતના અંતે પકડાયો હતો. દીપડાએ સરકારનું કામકાજ તો ઠપ્પ કરી દીધું હતું, સાથે તત્કાલીન સીએમ રૂપાણીને પણ તેમનો રૂટ બદલવાની ફરજ પડી હતી.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 5:27 pm

શ્રેય હોસ્પિટલ અને TRP ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી:રાજ્યમાં ફાયર સેફટીના માળખા તેમજ ડાયરેક્ટરની ભૂમિકાને લઈને સ્પષ્ટ ચિત્ર નહીં, ફાયર સેફ્ટી ઓફિસરની કામગીરી પર પ્રશ્નો સર્જ્યા

રાજકોટ TRP ગેમ ઝોન અને શ્રેય હોસ્પિટલની ઘટનામાં ફાયર સેફ્ટીના મુદ્દે ચાલી રહેલા કેસની સુનાવણી હાઇકોર્ટમાં ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ ડી.એન.રેની બેન્ચ સમક્ષ હાથ ધરાઇ હતી. જેમાં રાજ્યમાં ફાયર સર્વિસના માળખાની સ્પષ્ટતા કરવા હાઇકોર્ટમાં ચર્ચા થઈ હતી. સુનાવણીની શરૂઆતમાં એડવોકેટ જનરલે કોર્ટને જણાવ્યું હતું કે, TRP ગેમઝોન દુર્ઘટનામાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના 8 અધિકારીઓ સામે ખાતાકીય તપાસ હાથ ધરાઇ છે. જે પૈકી 4 સામે તપાસ પૂર્ણ થતા સજા જાહેર કરાઈ છે. જ્યારે અન્ય 4 કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ એડવાન્સ સ્ટેજ ઉપર છે. દોષિત કર્મચારીઓને ફાઇનલ નોટિસો અપાઇ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટ્રક્ચર મુજબ જાતે ભરતી કરવામાં આવે છેકોર્ટને ફાયર વિભાગના માળખ વિશે માહિતી અપાઈ હતી કે, મ્યુનિસિપલ કોર્પોરેશન અને મ્યુનિસિપાલિટીની સ્ટેટ્સ ફાયર સર્વિસથી બહાર રખાયા છે. તેઓ જાતે ફાયર વિભાગની વ્યવસ્થા કરે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટ્રક્ચર મુજબ જાતે ભરતી કરવામાં આવે છે. જેમાં ચીફ ફાયર ઓફિસર ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, ડિવિઝનલ ફાયર ઓફિસર, સ્ટેશન ફાયર ઓફિસર, સબ ઓફિસર , લીડિંગ ફાયરમેન, ડ્રાઇવર કમ ઓપરેટર અને ફાયરમેનનો સમાવેશ થાય છે. ફાયર સર્વિસને સશક્તિકરણની જરૂર છે - હાઈકોર્ટહાઇકોર્ટે પૂછ્યું હતું કે, આ દરેક પોસ્ટ ઉંમર કેટલી ભરતી થઈ છે ? દોઢ વર્ષમાં શું પ્રગતિ થઈ છે ? ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસિસના કાયમી ડિરેક્ટર નથી. જેથી એડવોક્ટ જનરલે જણાવ્યું હતું કે, હવે કાયમી ડિરેક્ટર રાખવામાં આવશે. કોર્ટે ભરતી પછી ટ્રેનિંગ આપો છો કે કેમ તેનો પણ પ્રશ્ન કર્યો હતો. આ સાથે જ જવાબદાર અધિકારીઓના માળખા અંગે પ્રૃચ્છા કરી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે ફાયર સર્વિસને સશક્તિકરણની જરૂર છે. સામાન્ય લોકોને ટ્રેનિંગ આપવાની જરૂર છે. ઓવર ઓલ ફાયર વિભાગનું પિક્ચર સ્પષ્ટ થયું નથીકોર્ટ રાજ્ય સરકારની એફિડેવિટથી અસંતુષ્ટ હતી. જેમાં તેણે કહ્યું હતું કે, સરકારને માંગીએ એટલી જ માહિતી આપે છે, ઓવર ઓલ ફાયર વિભાગનું પિક્ચર સ્પષ્ટ થયું નથી. વળી સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસિસના ડિરેક્ટરના કાર્ય, જવાબદારી અને સત્તા અંગે કોઈ સ્પષ્ટતા નથી. તેના જવાબમાં કોર્ટને જણાવ્યું હતું કે, પંચાયત અને ગ્રામ્ય વિભાગ તેના હસ્તકમાં આવે છે. ફાયરને લગતા કાયદાઓના પાલન માટે તે નિર્દેશ આપે છે. મ્યુનિસિપલ કમિશનરે પણ આગ માટે તેને જવાબ આપવો પડે અને આ ડિરેક્ટર રાજ્ય સરકારને જવાબદાર હોય છે. વધુ સુનવણી આગામી સમયમાં યોજાશેહાઇકોર્ટે એ બાબત ઉપર પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે, ફાયરરસેફ્ટી ઓફિસર કોન્ટ્રાક્ટ પર રહીને રિન્યુઅલની NOC કેવી રીતે આપી શકે ? તેની જવાબદારી શું ? નિરીક્ષણ ફાયર વિભાગે કરવું પડે. જેના જવાબમાં કોર્ટને જણાવ્યું હતું કે, તે જગ્યાના ફોટા લે છે અને જરૂર પડે તો ફાયર વિભાગ ત્યાં ચકાસણી માટે જાય છે. બહુ બધા મકાનો હોવાથી ફાયર વિભાગ દ્વારા દરેક જગ્યાએ જાત નિરીક્ષણ શક્ય નથી. હાઇકોર્ટે કહ્યું હતું કે, કોર્ટના નિર્દેશથી 25 વર્ષ પહેલા ફાયર સેફ્ટી સાધનો નહીં હોવાથી અનેક બિલ્ડિંગો સીલ કરાઈ હતી. હાઇકોર્ટ ફરી રાજ્ય સરકારને ફાયર વિભાગના સ્પષ્ટ માળખા અને જવાબદારીઓ અંગે જવાબ માંગ્યો છે. આ અંગે વધુ સુનવણી આગામી સમયમાં યોજાશે. મહાનગર પાલિકામાં મ્યુ. કમિશનર જવાબદાર અધિકારી છે, તો સ્ટેટ ફાયર સર્વિસનું શું કામ ?અગાઉની સુનવણીમાં કોર્ટમાં ચર્ચા થઈ હતી કે, દરેક મહાનગર પાલિકા અર્બન હાઉસિંગ અને અર્બન ડેવલોપમેન્ટ વિભાગ અંતર્ગત આવે છે. તો રાજ્યમાં ફાયર સર્વિસ ડાયરેક્ટર અને ડેપ્યુટી ડાયરેક્ટરનું કામ શું છે ? રાજ્ય સરકારે કહ્યું હતું કે, રાજ્યમાં કેન્દ્રિત એક જ ફાયર સર્વિસ રાખી શકાય નહીં. જેથી તેનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. ફાયર સર્વિસ ડાયરેક્ટર રાજ્યમાં ફાયર સર્વિસના કાર્યો અને નિયમોની અમલવારી જુએ છે. જોકે, કોર્ટે કહ્યું હતું કે, મહાનગર પાલિકામાં મ્યુનિસિપલ કમિશનર જવાબદાર અધિકારી છે, તો સ્ટેટ ફાયર સર્વિસનું શું કામ ? રાજ્ય સરકારે કહ્યું હતું કે મહાનગર પાલિકાની સીમાઓ બહાર ડાયરેક્ટર ઓફ ફાયર સર્વિસ કામ કરે છે. જેના માળખામાં રિજિયોનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલ્ટી ત્યારબાદ અનુક્રમે રિજિયોનલ ફાયર ઓફિસર, ડેપ્યુટી રિજિયોનલ ફાયર ઓફિસર, ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર, સ્ટેશન ફાયર ઓફિસર, સબ ઓફિસર અને એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફનો સમાવેશ થાય છે. નગરપાલિકાઓ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીને જવાબદાર હોય જો કે કોર્ટે કહ્યું હતું કે રાજ્યમાં મહાનગર પાલિકા, નગર પાલિકા અને પંચાયત એમ ત્રણેય સંસ્થાઓ સ્વાયત હોય તો સ્ટેટ ફાયર સર્વિસ અંતર્ગત ડિરેક્ટરનું કામ શું ? ડાયરેક્ટરના પાવર શું છે ? મ્યુનિસિપલ કમિશ્નર, ચીફ ઓફિસર વગેરેના ફાયર સર્વિસ સંદર્ભે શું પાવર છે ? ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું શું ? સરકારે કહ્યું હતું કે નગરપાલિકાઓ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલિટીને જવાબદાર હોય છે. જેમની નીચે અનુક્રમે ચીફ મ્યુનિસિપલ કમિશ્નર, 6 રીજન કમિશ્નર, ચીફ ઓફિસર અને નગરપાલિકા આવે છે. આ મ્યુનિસિપલ કમિશ્નર અર્બન હાઉસિંગ અને ડેવલપમેન્ટ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીને જવાબદાર હોય છે. કોર્ટ સરકારના જવાબથી સંતુષ્ટ નહોતીઆમ મહાનગર પાલિકામાં જવાબદારી જે તે મ્યુનિસિપલ કમિશનરની, નગરપાલિકાઓ માટે કમિશ્નર ઓફ મ્યુનિસિપલિટી જવાબદાર અને પંચાયતોમાં ડાયરેક્ટર ઓફ ફાયર સર્વિસ જવાબદાર હોય છે. ફાયર સર્વિસમાં ડાયરેક્ટર અને ડેપ્યુટી ડાયરેક્ટર સ્ટેટ કન્ટ્રોલિંગ બોડી તરીકે કામ કરે છે. ફાયર સેફટીને લઈને પ્રિન્સિપાલ સેક્રેટરી દર 15 દિવસે સ્થાનિક ઓથોરિટીની સર્વોચ્ચ વહીવટી અધિકારીઓ સાથે મિટિંગ યોજે છે. જો કે કોર્ટ સરકારના જવાબથી સંતુષ્ટ નહોતી તેને સરકારને ફાયર સર્વિસનું માળખું સ્પષ્ટ કરવા આદેશ કર્યો હતો. જેથી આગળ ફાયર સર્વિસને સશક્ત કરવા પગલા લઈ શકાય.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 5:24 pm

બિહાર ચૂંટણીમાં NDA જીત:ગોધરામાં વિજયોત્સવનું આયોજન, પંચમહાલ ભાજપ સંગઠન દ્વારા કાર્યક્રમ યોજાયો

ગોધરા શહેરના ગાંધી ચોક વિસ્તારમાં NDAની બિહાર વિધાનસભા ચૂંટણીમાં થયેલી જીતની ઉજવણી માટે વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા અને શહેરના વિવિધ હોદ્દેદારો, કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત કાર્યકરોના નારા અને અભિનંદનની આપ-લેથી થઈ હતી. વિજયની ખુશીમાં કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી અને ફટાકડા ફોડીને આનંદ વ્યક્ત કર્યો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે NDAની જીતને વિચારધારા અને વિકાસના રાજકારણની જીત ગણાવી હતી. દેસાઈએ જણાવ્યું કે આ જીત દેશના નાગરિકોનો વિશ્વાસ દર્શાવે છે અને તે કાર્યકરોના પરિશ્રમનું ફળ છે. ગોધરા શહેર ભાજપના હોદ્દેદારો અને જિલ્લા સ્તરના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નેતાઓએ આગામી દિવસોમાં વધુ સેવા અને સંગઠનને મજબૂત બનાવવા માટે કાર્યકરોને પ્રેરણા આપી હતી. આ વિજયોત્સવ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 5:13 pm

બિહારમાં NDAની જીતથી પાટણમાં જશ્નનો માહોલ:બગવાડા દરવાજા ખાતે ભાજપે આતશબાજી અને રેલી યોજી વિજય ઉત્સવ મનાવ્યો

બિહાર વિધાનસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ પાટણ શહેરમાં વિજય ઉત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ખુશી વ્યક્ત કરી હતી. પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો દ્વારા આતશબાજી કરવામાં આવી હતી. કાર્યકરોએ એકબીજાનું મોઢું મીઠું કરાવીને NDAના વિજયની ખુશી વ્યક્ત કરી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ રેલી સ્વરૂપે આ ઉત્સવ મનાવ્યો હતો. આ વિજય ઉત્સવમાં હુંડકોના ચેરમેન કે.સી. પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવ સહિતના અગ્રણી આગેવાનો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે પૂર્વ પ્રદેશ મહામંત્રી અને હુંડકોના ચેરમેન કે.સી. પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું કે, બિહાર વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપે 101 બેઠકો પરથી ચૂંટણી લડી હતી અને તેમાંથી 96 જેટલી સીટો પર વિજય હાંસલ કરી સફળતા મેળવી છે. તેમણે કોંગ્રેસના 'વોટ ચોરીના મુદ્દા'ને નકારી કાઢ્યો હતો. પટેલે વધુમાં કહ્યું કે, બિહારના મહિલાઓ અને યુવાનોએ મોટી સંખ્યામાં મતદાન કરી NDA સરકારને સ્પષ્ટ બહુમતી આપી છે. મહાગઠબંધનના 'મુસ્લિમ અને યાદવ'ના સૂત્રને બિહારની જનતાએ તોડીને ડબલ એન્જિનની સરકારને સમર્થન આપ્યું છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 5:10 pm

માજી ધારાસભ્યને 'ચૂનો':મનીષ ગીલીટવાલા કાપડના વેપારમાં વેસ્ટ બંગાળની ફર્મના ભાગીદારો અને દલાલો સહિત 4 શખસોએ 95.41 લાખનું ફૂલેકું ફેરવ્યું

ગ્રે અને ફિનિશ કાપડના મેન્યુફેક્ચરિંગ અને વેચાણના ધંધા સાથે સંકળાયેલા સુરતના માજી ધારાસભ્ય મનીષભાઈ નટવરલાલ ગીલીટવાલા સાથે છેતરપિંડીનો એક મોટો બનાવ સામે આવ્યો છે. વેસ્ટ બંગાળની એક એક્સપોર્ટ ફર્મના ભાગીદારોએ બે કાપડ દલાલો સાથે મળીને પૂર્વ ધારાસભ્ય પાસેથી 1.13 કરોડનો કાપડનો માલ ખરીદ્યો હતો, જેમાંથી 95.41 લાખનું પેમેન્ટ ન ચૂકવીને તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી છે. આ મામલે મનીષભાઈ ગીલીટવાલાએ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વેપારના બહાને વિશ્વાસ કેળવ્યોસગરામપુરા ખાતે રહેતા મનીષભાઈ ગીલીટવાલા બમરોલી રોડ પર આત્માનંદ ઈન્ડસ્ટ્રીઝ સોસાયટીમાં 'મનીષ ટેક્ષટાઈલ્સ'ના નામથી પોતાનો કાપડનો વ્યવસાય ચલાવે છે. વર્ષ 2022માં તેઓ ધંધાના કામ અર્થે રીંગરોડ સ્થિત જાપાન માર્કેટમાં ગયા હતા, જ્યાં તેમનો શૈલેષ પોપટ ખેની, જય પટેલ અને વિક્રમ મકવાણા સાથે ભેટો થયો હતો. માલના પેમેન્ટની જવાબદારી પોતે લેવાની વાત કરીશૈલેષ ખેનીએ જણાવ્યું કે, તે રોહિતકુમાર ધમાસાદીન સાથે ભાગીદારીમાં કલકત્તા, વેસ્ટ બંગાળ ખાતે રાધારાની એક્સપોર્ટ ફર્મના નામથી કાપડનો વેપાર કરે છે. જય પટેલ અને વિક્રમ મકવાણાએ પોતાને કાપડના દલાલ ગણાવ્યા. શરૂઆતમાં મનીષભાઈએ તેમની સાથે વેપાર કરવાની ના પાડી હતી, પરંતુ એક મહિના બાદ આ ત્રણેય જણા તેમની ઓફિસે મળવા આવ્યા હતા. શૈલેષે તેના ભાગીદાર સાથેની પાર્ટનરશીપ ડીડ બતાવી હતી અને દિલ્હી ગેટ ખાતે મેઘાણી ટાવરમાં પોતાની ઓફિસ હોવાનું જણાવ્યું હતું. દલાલો જય અને વિક્રમે પણ વેપારીની માર્કેટ છાપ સારી હોવાની ખાતરી આપી માલના પેમેન્ટની જવાબદારી પોતે લેવાની વાત કરી હતી. માલ ખરીદ્યા બાદ પેમેન્ટ ન ચુકવ્યુંટોળકીની મીઠી વાતોમાં આવી જઈને મનીષભાઈએ તેમની સાથે વેપાર શરૂ કર્યો હતો. શરૂઆતમાં સમયસર પેમેન્ટ કરીને આરોપીઓએ પૂર્વ ધારાસભ્યનો વિશ્વાસ કેળવ્યો હતો.આ વિશ્વાસ કેળવ્યા બાદ, ગત 16 નવેમ્બર 2022 થી 5 મે 2023 સુધીના સમયગાળામાં આરોપીઓએ ટુકડે ટુકડે કુલ 1,13,57,053નો માલ ખરીદ્યો હતો. જોકે, આ રકમ સામે 29 ડિસેમ્બર 2023 સુધીમાં તેમણે માત્ર ₹18,15,572 જ ચૂકવ્યા હતા. પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીઓને પકડવા તપાસ હાથ ધરીબાકી નીકળતા 95,41,481ની રકમ માટે મનીષભાઈ દ્વારા વારંવાર ઉઘરાણી કરવા છતાં, આરોપીઓએ પેમેન્ટ ન ચુકવીને છેતરપિંડી કરી હતી.આખરે, મનીષભાઈ નટવરલાલ ગીલીટવાલાએ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ચાર આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.શૈલેષ પોપટ ખેની (રહે: મેઘાણી ટાવર, દિલ્હી ગેટ અને ઓલપાડ, સીવાન એસ્ટેટ, સુરત), રોહિતકુમાર ધમાસાદીન (રહે: ગણપત બગલા રોડ, કલકત્તા, વેસ્ટ બંગાળ), જય પટેલ (દલાલ), વિક્રમ મકવાણા (દલાલ)પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી, ફરાર આરોપીઓને ઝડપી પાડવા અને છેતરપિંડીની વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 5:00 pm

અમદાવાદ-મલેશિયા વચ્ચે નવી ફ્લાઇટ:અમદાવાદ-કુઆલાલુમ્પુર વચ્ચેની ફ્લાઇટ્સમાં વધારો, હવે યાત્રીઓને વધુ ઓપ્શન મળશે

ભારત અને મલેશિયા વચ્ચે કનેક્ટિવિટી વધારતા માટે મલેશિયા એરલાઇન્સે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કુઆલાલુમ્પુર (KUL) માટે તેની ફ્લાઇટ્સની સંખ્યામાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ નવી જાહેરાત મુજબ, અમદાવાદ અને કુઆલાલુમ્પુર વચ્ચેની ફ્લાઇટ્સ હવે વધુ ફ્રિકવન્સી સાથે ઉપલબ્ધ થશે. ફ્લાઈટ્સ રવિવાર, મંગળવાર અને શુક્રવારે મળશેમલેશિયા એરલાઇન્સ દ્વારા અમદાવાદ (AMD) અને કુઆલાલુમ્પુર (KUL) વચ્ચે વધારવામાં આવેલા ફ્લાઇટ શિડ્યૂલ મુજબ, હવે યાત્રીઓને વધુ ઓપ્શન મળશે. કુઆલાલુમ્પુર​​​​​​​થી અમદાવાદ આવતી ફ્લાઇટ MH-106 દર રવિવાર, મંગળવાર અને શુક્રવારના રોજ સાંજે 6:45 વાગ્યે ઉપડીને રાત્રે 9:40 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ જ દિવસોમાં અમદાવાદથી કુઆલાલુમ્પુર જતી ફ્લાઇટ MH-107 રાત્રે 10:40 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 06:45 વાગ્યે કુઆલાલુમ્પુર પહોંચશે. કુઆલાલુમ્પુરથી અમદાવાદની વધારાની પણ ફ્લાઈટ્સ​​​​​​​વધારાની ફ્લાઇટ્સમાં, કુઆલાલુમ્પુરથી અમદાવાદ આવતી ફ્લાઇટ MH-208 દર શનિવાર અને બુધવારના રોજ રાત્રે 11:00 વાગ્યે ઉપડીને બીજા દિવસે રાત્રે 01:55 વાગ્યે અમદાવાદ પહોંચશે. જ્યારે અમદાવાદથી કુઆલાલુમ્પુર​​​​​​​ જતી ફ્લાઇટ MH-209 દર શનિવાર અને ગુરુવારના રોજ રાત્રે 02:55 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને તે જ દિવસે સવારે 11:00 વાગ્યે કુઆલાલુમ્પુર પહોંચશે. આ વધેલા શિડ્યૂલને કારણે બંને શહેરો વચ્ચે સપ્તાહ દરમિયાન વધુ કનેક્ટિવિટી મળશે. વધારાની ફ્લાઇટ્સ પ્રવાસનને પ્રોત્સાહન આપશેમલેશિયા એરલાઇન્સની આ જાહેરાતથી અમદાવાદ અને સમગ્ર ગુજરાતના યાત્રીઓને કુઆલાલુમ્પુર અને ત્યાંથી આગળ એશિયાના અન્ય સ્થળો સાથે જોડાવા માટે વધુ અનુકૂળ વિકલ્પો મળશે. આ વધારાની ફ્લાઇટ્સ વેપાર, પ્રવાસન માટે લોકોમાં સુવિધા પૂરી પાડશે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 4:53 pm

લખતરના લીલાપુર શાળામાં 6 નવા વર્ગખંડનું લોકાર્પણ:શહીદવીર કુલદીપ પટેલ પે. સેન્ટર શાળામાં અપગ્રેડેશનના કામો ખુલ્લા મુકાયા

ગુજરાત સરકારના સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના લીલાપુર ખાતે આવેલી શહીદવીર કુલદીપ પટેલ પે. સેન્ટર શાળામાં 6 નવા વર્ગખંડ અને શાળા અપગ્રેડેશનના વિકાસ કામોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા અને ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે શાળાના નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ શાળાની સુવિધાઓની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આ ગ્રામ્ય શાળા શહેરની શાળાઓને ટક્કર આપે તેવી છે. તેમણે માહિતી આપી કે નવનિર્મિત છ રૂમ પૈકી, બે રૂમ પ્રોજેક્ટરથી શિક્ષણ આપવા માટે તૈયાર કરાયા છે, જ્યારે ત્રણ રૂમમાં એલઈડી સ્ક્રીન સાથેની કોમ્પ્યુટર લેબની સુવિધા ઉપલબ્ધ છે. મકવાણાએ વધુમાં જણાવ્યું કે, સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના બાળકો પણ શહેરના બાળકોની જેમ સરકારી શાળામાં ગુણવત્તાયુક્ત અભ્યાસ કરી શકે તે માટે ભૌતિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ કરાવેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમોના પરિણામે શિક્ષણમાં દીકરીઓની સંખ્યા અને સારા પરિણામોમાં થયેલા વધારાની નોંધ લીધી હતી. તેમણે સરકારી શાળામાં મફતમાં મળતા ગણવેશ અને ચોપડાની સુવિધા તેમજ શિક્ષકો દ્વારા અપાતા ગુણવત્તાયુક્ત શિક્ષણનો પણ ઉલ્લેખ કર્યો. શિક્ષણ ક્ષેત્રે સરકારની વિવિધ યોજનાઓ પર ભાર મૂકતા, જગદીશ મકવાણાએ ફેબ્રુઆરી 2024ના બજેટમાં અમલમાં આવેલી નમો લક્ષ્મી યોજનાનો ઉલ્લેખ કર્યો. આ યોજના હેઠળ ધોરણ 9થી 12 સુધી અભ્યાસ કરતા સરકારી શાળાના બાળકોને શિક્ષણ ન છોડવું પડે તે માટે દર વર્ષે રૂ.12,000 એમ કુલ રૂ.48,000ની સ્કોલરશીપ આપવામાં આવે છે. આ ઉપરાંત, જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ અંતર્ગત ધોરણ 6થી 12 સુધી બાળકને રહેવા-જમવા સહિત મફતમાં અભ્યાસ કરાવવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં ચાર જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલો મંજૂર કરાઈ છે. ઉચ્ચ શિક્ષણ માટે શહેરોમાં અભ્યાસ કરતા બાળકો માટે 500ની ક્ષમતાવાળી સમરસ હોસ્ટેલ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં મંજૂર કરાઈ છે. ધારાસભ્ય પી.કે. પરમારે જણાવ્યું હતું કે, નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કૂલ ઓફ એક્સલન્સની અપેક્ષા મુજબનું છે. તેમણે ઉમેર્યું કે 'શાળા પ્રવેશોત્સવ' જેવા કાર્યક્રમોના કારણે ડ્રોપઆઉટ રેશિયો 35% થી ઘટીને શૂન્ય થયો છે. તેમણે NMMS સ્કોલરશિપ હેઠળ રૂ. 48,000ની સહાય મળતી હોવાનું જણાવી ધોરણ 8ના બાળકોને આ પરીક્ષામાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો. ધારાસભ્ય પી.કે. પરમારે પ્રસંગોચિત ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, આ નવનિર્મિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કૂલ ઓફ એક્સલન્સની અપેક્ષા મુજબની ભૌતિક સુવિધાઓ સાથેનું છે અને સરકારી શાળાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આજે ખાનગી શાળાઓ સમકક્ષ સુવિધાઓ ધરાવે છે. આ માટે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા 'શાળા પ્રવેશોત્સવ' કાર્યક્રમના કારણે ભૂતકાળમાં જે ડ્રોપઆઉટ રેશિયો 35 ટકા હતો, તે આજે ઘટીને શૂન્ય થઈ શક્યો છે. તેમણે શિક્ષણને કોઈપણ વિકાસના પાયામાં રહેલું ગણાવી ગુણાત્મક શિક્ષણ માટે 'ગુણોત્સવ'ના કાર્યક્રમોનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત, ધારાસભ્યે સરકારના અન્ય જનકલ્યાણકારી નિર્ણયો અને વિકાસ કાર્યોની વિસ્તૃત વાત કરી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી અને મહાનુભાવો તથા દાતાઓનું શાલ અને પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાના નવા બિલ્ડીંગનું રીબીન કાપી લોકાપર્ણ કરવામાં આવ્યું હતું અને સર્વેએ શાળાની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક અને દેશભક્તિ કૃતિ પણ રજૂ કરવામાં આવી હતી. શાળાના આચાર્ય શ્રી જયેશભાઈ મોરી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન રણછોડભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, કથાકાર શાસ્ત્રી મહેશ બાપુ, અગ્રણી જયેશભાઈ પટેલ, રવિરાજભાઈ વઢેર, પ્રભુભાઈ મકવાણા, ડી. કે. ચવલિયા, હરપાલસિંહ રાણા, ગામ સરપંચ અરવિંદભાઈ, ઉપસરપંચ સહીતના જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ, અગ્રણીઓ, અધિકારીઓ, ગ્રામજનો, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 4:51 pm

ગીર સોમનાથમાં દિલ્હી બ્લાસ્ટ બાદ પોલીસ સતર્ક:સંવેદનશીલ વિસ્તારોમાં SOGની તપાસ, ત્રણ કાશ્મીરીઓની પૂછપરછ

દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની ગંભીર ઘટના બાદ ગીર સોમનાથ જિલ્લાનું પોલીસ તંત્ર અત્યંત સતર્ક બન્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સીધી દેખરેખ હેઠળ સુરક્ષા એજન્સીઓ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. એસ.પી. જાડેજાએ માહિતી આપતા જણાવ્યું કે, જિલ્લામાં આવેલી મસ્જિદો, મદ્રેસાઓ અને અન્ય મહત્વના ધાર્મિક સ્થળોએ એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમો દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. નવાબંદરની મદીના મસ્જિદમાં તપાસ દરમિયાન કાશ્મીરથી આવેલા ત્રણ શંકાસ્પદ ઈસમો મળી આવતા સુરક્ષા એજન્સીઓ તરત હરકતમાં આવી ગઈ હતી. આ ત્રણેય ઈસમોની એસ.ઓ.જી. દ્વારા સઘન પૂછપરછ ચાલી રહી છે, જ્યારે મસ્જિદ સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો છે. જિલ્લાનો આશરે ૧૨૦ કિલોમીટરનો દરિયાકાંઠો આંતરરાષ્ટ્રીય સીમા સાથે જોડાયેલો હોવાથી દરિયાઈ સુરક્ષા મજબૂત બનાવવા એસ.ઓ.જી.ની ટીમોએ સમુદ્રમાં જઈ ફિશિંગ બોટોનું વિશેષ ચેકિંગ કર્યું હતું. સાથે જ, જિલ્લાના માર્ગો પર પણ વાહન ચેકિંગ વધારવામાં આવ્યું છે જેથી કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ પર તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. નવાબંદરની મદીના મસ્જિદમાંથી ઝડપાયેલા ત્રણ શંકાસ્પદ કાશ્મીરી ઈસમોની તપાસ વધુ સઘન બનાવવામાં આવી છે. આ ઈસમોના કાશ્મીરમાં વેરિફિકેશન સાથે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને વધુ તપાસ સોંપવામાં આવી છે. દિલ્હીની ઘટનાના પગલે ગીર સોમનાથમાં સુરક્ષા એજન્સીઓ વધુ સક્રિય બની છે અને દરેક મુદ્દે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ રાખી છે. જિલ્લાભરમાં પોલીસનું સતર્ક વલણ અને સતત ઓપરેશનથી સુરક્ષા વ્યવસ્થામાં ચાકચોક્સાઈ વધુ મજબૂત બની રહી છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 4:38 pm

બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિતે જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણી:જિલ્લા પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને પંડીત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલમાં કાર્યક્રમ યોજાયો

રાજ્યભરમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાષ્ટ્રનિર્માણમાં આદિજાતિ સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે ‘જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ’ની ઉજવણીના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં પંડીત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી પ્રવિણભાઈ માળીની અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પ્રભારીના અધ્યક્ષસ્થાને બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીઆ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી પ્રવિણભાઈ માળીએ જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાના જીવનમાંથી જનસમુદાયને પ્રેરણા મળે તેવા ઉમદા આશય સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન બિરસા મુંડાના જન્મદિવસને જનજાતિય ગૌરવ દિવસ તરીકે ઓળખ આપી છે. ત્યારે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ અને વંદે માતરમ@150 જેવા રાષ્ટ્રીય પર્વોની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. મંત્રીએ કુરિવાજો અને કુટેવો દૂર કરવા સૌને અપીલ કરીપ્રભારી મંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, કોઈપણ બિમાર વ્યક્તિને હાથ ફેલાવો ન પડે તેવા આશયથી સરકારે આયુષ્માન ભારત, મા કાર્ડ, અમૃત કાર્ડ જેવી યોજનાનું સફળ અમલીકરણ કર્યું છે જેનો લાભ આજે અનેક લાભાર્થીઓ લઈ રહ્યા છે. વધુમાં મંત્રીએ મહેસાણા જિલ્લાના પદાધિકારીઓ/અધિકારીઓને જિલ્લામાં છુટાછવાયા રહેતા આદિજાતિના લાભાર્થીઓને ઘર આંગણે જ સરકારની વિવિધ યોજનાઓના લાભ મળી જાય તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. ઉપરાંત ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતી નિમિત્તે ઉપસ્થિતોને સમાજમાં જો કોઈ કુરિવાજો અને કુટેવો હોય તો આ કુરિવાજો અને કુટેવો દૂર કરવા સૌને અપીલ કરી હતી. બિરસા મુંડાના જીવન સંઘર્ષ અને સંસ્કૃતિ અંગે ફિલ્મનું નિદર્શનકાર્યક્રમમાં ભગવાન બિરસા મુંડાના જીવન સંઘર્ષ અને સંસ્કૃતિ અંગે ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું, તેમજ ઊંઝા મહિલા કોલેજના આચાર્ય હસમુખભાઈ પટેલે જનજાતિય ગૌરવ વર્ષ અને બિરસા મુંડાનું જીવન કવન રજૂ કર્યું હતું.જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ’ની ઉજવણીના સાથોસાથ સેવાસેતુ, મેડિકલ કેમ્પ, આદિજાતિના વિશિષ્ટ પ્રતિભા ધરાવતા લોકોનો સન્માન અને વિવિધ રમતગમત સ્પર્ધાઓના વિજેતાનું સન્માનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 4:35 pm

ઝઘડીયાના વડિયાથી માલસર બ્રિજ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર:તાત્કાલિક ડામર રોડ બનાવવાની સ્થાનિકોએ માગ કરી

ઝઘડીયાના વડિયાથી માલસર બ્રિજ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે. કરોડો રૂપિયાના ખર્ચે માલસર ઉપર નવો બ્રિજ બન્યો હોવા છતાં, તેને જોડતો રોડ બનાવવાનું કામ અધૂરું રહેતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. હાલમાં નર્મદા જિલ્લામાં પોઈચા બ્રિજ ભારદારી વાહનો માટે બંધ હોવાથી, ભારે ટ્રાફિક આ બિસ્માર માર્ગ પરથી પસાર થઈ રહ્યો છે. રસ્તાની ખરાબ હાલતને કારણે થોડા દિવસો પહેલા અંકલેશ્વર–અંબાજીની એક એસ.ટી. બસ વડિયા મંદિર પાસેના મોટા ખાડામાં ફસાઈ ગઈ હતી, જેના કારણે મુસાફરોને કલાકો સુધી હાલાકી ભોગવવી પડી હતી. માલસર બ્રિજને રાજ્ય ધોરીમાર્ગ હેઠળ જાહેર કરાયા બાદ માર્ગ અને મકાન વિભાગે રોડ બનાવવાની કામગીરી શરૂ કરી હતી. જોકે, વરાછા ગામના ખેડૂતોની સંમતિ વિના અને જમીન સંપાદન કર્યા વગર કામ શરૂ થતાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે માર્ગ નિર્માણ અટકી ગયું છે. પરિણામે, બ્રિજથી વડિયા સુધીનો લગભગ 5 કિલોમીટર લાંબો માર્ગ દિવસેને દિવસે વધુ ખરાબ થતો જાય છે. ત્રણ જિલ્લાને જોડતો અને ડભોઇ-નર્મદા માર્ગ મકાન વિભાગ હેઠળ આવતો આ માર્ગ પર હાલ માત્ર મેટલ પાથરીને ખાડા પૂરવાના કામચલાઉ ઉપાયો કરવામાં આવી રહ્યા છે. ડામર પેચિંગ સહિતની મૂળભૂત કામગીરી હજુ સુધી હાથ ધરવામાં આવી નથી. આ માર્ગ પરથી દૈનિક ધોરણે સ્થાનિક લોકો, એસ.ટી. બસો, માલવાહક વાહનો અને મહારાષ્ટ્ર તરફ જતા ટ્રક-ટ્રાન્સપોર્ટ મોટા પ્રમાણમાં પસાર થાય છે. ભારે ખાડાઓને કારણે વાહનોને નુકસાન થવું અને ફસાઈ જવાના બનાવો રોજિંદા બન્યા છે, જેનાથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે. પરિણામે, તાત્કાલિક ધોરણે ડામર રોડનું નિર્માણ કે પેચિંગ કરવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠી રહી છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 4:27 pm

બિહાર ચૂંટણી પરિણામ જાહેર, NDAને બહુમતી:મહીસાગર જિલ્લા ભાજપમાં વિજય ઉત્સવ, ફટાકડા ફોડી ઉત્સવ મનાવાયો

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે. આ ચૂંટણીમાં NDA ગઠબંધનને બહુમતી મળી છે, જેના પગલે રાજ્યભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. NDA ના વિજયને પગલે મહીસાગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. લુણાવાડા શહેરના લુણેશ્વર ચાર રસ્તા ખાતે ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને ઢોલ-નગારા વગાડીને કાર્યકર્તાઓએ આનંદ વ્યક્ત કર્યો હતો. બિહારમાં NDA ની જીતને લઈને ભાજપમાં અનેરો ઉત્સાહ છવાયો હતો.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 4:18 pm

દેશની પ્રથમ ‘સ્લીપર વંદે ભારત ટ્રેન’નું સફળ ટ્રાયલ:અમદાવાદથી નોનસ્ટોપ મુંબઈ 5 કલાકમાં પહોંચાડશે

દેશની પ્રથમ ‘સ્લીપર વંદે ભારત ટ્રેન’નું ટ્રાયલ આજે (14 નવેમ્બર) અમદાવાદથી મુંબઈની વચ્ચે કરવામાં આવ્યું હતું. સવારે અમદાવાદથી 130ની સ્પીડે સ્લીપર વંદે ભારત ટ્રેન નીકળી હતી, જેમાં રસ્તામાં આવતા વડોદરા, સુરત સહિતના સ્ટેશન પર માત્ર તેની એક ઝલક જોવા મળી હતી. દેશની પહેલી નોનસ્ટોપ ‘સ્લીપર વંદે ભારત ટ્રેન’નું બીજુ ટ્રાયલ સફળ રહ્યું છે. આ ટ્રેનમાં 16 કોચ છે, જેના રેકમાં ફેરફાર કરાયેલી બોગીઓ છે. વંદે ભારત ટ્રેનથી પણ વધુ અધ્યતન સુવિધાઓ સ્લીપર વંદે ભારે ટ્રેનમાં કરવામાં આવી છે. આ ટ્રેન શરૂ થતાં હવે માત્ર 5 કલાકમાં જ અમદાવાદથી મુંબઈ પહોંચી શકાશે. પશ્ચિમ રેલવે પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગત 11 નવેમ્બરના રોજ સ્લીપર વંદે ભારત ટ્રેનના રેક અમદાવાદ આવવા માટે રવાના થયા હતા. 13 નવેમ્બરના રોજ અમદાવાદ ખાતેના સાબરમતી યાર્ડ ખાતે સ્લીપર વંદે ભારત ટ્રેનના રેક આવી ગયા હતા. ત્યારબાદ તેમાં જરૂરી ટેકનિકલ તપાસ કરવામાં આવી હતી. આ સાથે આરડીએસઓની ટીમે ઇન્સ્ટ્રુમેન્ટ ટેન્શન અને સલામતીની તપાસ શરૂ કરી દીધી હતી. (વંદે ભારત સ્લીપર કોચનો અંદરનો વીડિયો) અમદાવાદથી 130ની સ્પીડે મુંબઈ સેન્ટ્રલ સુધીનું ટ્રાયલઆજરોજ 14 નવેમ્બર સવારે 9:00 વાગ્યે દેશની પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું હતું. અમદાવાદથી 130ની સ્પીડે મુંબઈ સેન્ટ્રલ સુધીનું ટ્રાયલ હાથ ધરવામાં આવ્યું હતું. સ્લીપર વંદે ભારત ટ્રેન 15 નવેમ્બર અથવા 16 નવેમ્બરના રોજ મુંબઈથી પરત અમદાવાદ આવશે. અમદાવાદથી ઉપડેલી સ્લીપર વંદે ભારત ટ્રેન 130ની સ્પીડે વડોદરા, સુરત અને ત્યારબાદ મુંબઈ સેન્ટ્રલ પહોંચી હતી. ડેટા રેકોર્ડિંગ, સેન્સર અને સલામતીના ઉપકરણોનું પરીક્ષણ કરાયુંઆ ટ્રાયલ દરમિયાન પશ્ચિમ રેલવેના વિવિધ વિભાગો, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિગ્નલ અને ટેલીકોમ્યુનિકેશન સહિતના વિભાગો દ્વારા ટ્રાયલમાં કામગીરી કરવામાં આવી હતી. આ ટ્રાયલ દરમિયાન ડેટા રેકોર્ડિંગ, સેન્સર અને સલામતીના ઉપકરણોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ સાથે જ આર.ડી.એસ.ઓ અને આઈ. સી. એફ.ની સંયુક્ત ટીમને સમગ્ર રૂટ પર ગતિ, સ્થિરતા અને સલામતીના ધોરણોનું નિરીક્ષણ કર્યું છે. અમદાવાદથી મુંબઈ સુધીનું દેશની પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેનનું બીજુ ટ્રાયલ પણ સફળ રહ્યું છે. પશ્ચિમ રેલવેના સી.પી.આર.ઓ. વિનીત અભિષેકે જણાવ્યું હતું કે, આ ટ્રાયલ દરમિયાન અલગ-અલગ 50 જેટલા અલગ-અલગ મુદ્દા ઉપર ધ્યાન રાખવામાં આવતું હોય છે. જેમાં ખાસ ડેટા રેકોર્ડિંગ, સેન્સર અને સલામતીના ઉપકરણો હોય છે, તેના પર વધુ ધ્યાન આપવામાં આવતું હોય છે. આ ટ્રાયલ જે રેક છે, તેની સલામતી સહિતના તમામ મુદ્દા ઉપર જો કોઈ ખામી હોય તો તેને સુધારો કરવા માટે કરવામાં આવતો હોય છે. પહેલું ટ્રાયલ 180ની સ્પીડે સવાઈ માધવપુર-કોટા-નાગડા સેક્શન વચ્ચે કરાયું હતુંદેશની પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેન કયા રૂટ પર ચાલશે તે હજુ નક્કી થયું નથી. અઠવાડિયા પહેલા સ્લીપર વંદે ભારત ટ્રેનના પહેલા રેકનો ટ્રાયલ સવાઈ માધવપુર-કોટા-નાગડા સેક્શન વચ્ચે કરવામાં આવ્યું હતું. જેમાં સ્લીપર વંદે ભારત ટ્રેનની સ્પીડ 180 સુધી લઈ જવામાં આવી હતી અને આ ટ્રાયલ પણ સફળ રહ્યું હતું. ત્યારે આજે સ્લીપર વંદે ભારત ટ્રેનના બીજા રેકનો ટ્રાયલ અમદાવાદથી મુંબઈની વચ્ચે 130ની સ્પીડે કરવામાં આવ્યો છે. સ્લીપર વંદે ભારત ટ્રેનની ખાસિયતોસ્લીપર વંદે ભારત ટ્રેનનું નિર્માણ BEML દ્વારા કરવામાં આવ્યું છે. ટ્રેનનું બોડી ઉચ્ચ ગુણવત્તાવાળા સ્ટેનલેસ સ્ટીલથી બનેલું છે, જે તેને મજબૂત અને સુરક્ષિત બનાવે છે. આ ટ્રેનને 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે અને તેનું પહેલું ટ્રાયલ 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કરવામાં આવ્યું હતું. કોચનું ઇન્ટિરિયર ખૂબ જ આકર્ષક અને આધુનિક છે, જેમાં સારી લાઇટિંગ અને સુંદર ડિઝાઇન છે. બેડની વ્યવસ્થા રાજધાની એક્સપ્રેસ કરતાં પણ વધુ આરામદાયક બનાવવાનો પ્રયાસ કરાયો છે. ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા, ટચ-ફ્રી બાયો-વેક્યુમ ટોઇલેટ અને સીસીટીવી કેમેરા જેવી સગવડો પણ ઉપલબ્ધ છે. રેલવે મંત્રીએ વંદે ભારત સ્લીપર ટ્રેનનું મોડલ બતાવ્યુંઆ પહેલા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ વર્ષે 1 સપ્ટેમ્બરે વંદે ભારત સ્લીપર ટ્રેનના પ્રથમ મોડલની ઝલક બતાવી હતી. તે બેંગલુરુમાં ભારત અર્થ મૂવર્સ લિમિટેડ (BEML)ની ફેક્ટરીમાં ટ્રેનનું નિરીક્ષણ કરવા આવ્યું હતું. રેલવે મંત્રીએ કહ્યું હતું- વિશ્વની શ્રેષ્ઠ ટ્રેનોમાં ગણાશેરેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ટ્રેનમાં કપલર મિકેનિઝમની નવી ટેક્નોલોજી લાવવામાં આવી છે. તેનાથી ટ્રેનનું વજન ઘટે છે અને તેની તાકાત વધે છે. કપ્લર એ ભાગ છે જે બે કોચને જોડે છે. તે ઓસ્ટેનિટિક સ્ટીલનું બનેલું છે. રેલવે મંત્રીના જણાવ્યા અનુસાર, ટ્રેન બનાવતી વખતે વજન સંતુલન અને સ્થિરતાને ધ્યાનમાં રાખવામાં આવી છે. વ્હીલ અને ટ્રેક વચ્ચેના યાંત્રિક ભાગને ખાસ ડિઝાઇન કરવામાં આવ્યો છે. તેનાથી ટ્રેનની અંદર વાઇબ્રેશન અને અવાજ ઓછો થશે. અશ્વિની વૈષ્ણવે દાવો કર્યો હતો કે, વંદે ભારત સ્લીપર ટ્રેનની ગણતરી વિશ્વની શ્રેષ્ઠ ટ્રેનોમાં થશે. ટ્રેનના કોચ અને ટોયલેટને અપગ્રેડ કરવામાં આવ્યા છે. ટ્રેનમાં અનેક સેફ્ટી ફીચર્સ છે. મેન્ટેનન્સ સ્ટાફ માટે અલગ કેબિન બનાવવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 4:09 pm

ગઢડામાં પાક નુકસાની સહાય પોર્ટલ બંધ:ખેડૂતો અરજી કરવામાં પરેશાન, તારીખ વધારવા માગ

બોટાદ જિલ્લાના ગઢડા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પાક નુકસાની સહાય માટેનું ઓનલાઈન પોર્ટલ સતત બંધ રહેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ફોર્મ ભરવા માટે વિવિધ કેન્દ્રો પર પહોંચેલા ખેડૂતોને નેટવર્કની ગંભીર સમસ્યાઓ અને પોર્ટલ ડાઉન હોવાને કારણે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. રાજ્ય સરકાર દ્વારા બપોરે 12 વાગ્યાથી પોર્ટલ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, વાસ્તવિકતામાં સાઇટ લાંબા સમય સુધી બંધ રહી હતી અને વારંવાર એરર દર્શાવતી હતી. આના કારણે પ્રથમ દિવસે એક પણ ફોર્મ સબમિટ થઈ શક્યું ન હતું, જેનાથી ખેડૂતોમાં ભારે નિરાશા જોવા મળી હતી. સરકારી તંત્રની આ બેદરકારી સામે ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. સહાય માટે ફોર્મ ભરવામાં થતા વિલંબથી તેમની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોની મુખ્ય માંગ છે કે સરકાર તાત્કાલિક ઓનલાઈન પોર્ટલને સુચારૂ રીતે કાર્યરત કરે અને ફોર્મ ભરવાની તારીખમાં યોગ્ય વધારો કરે, જેથી તમામ પાત્ર ખેડૂતોને સહાય મેળવવાની તક મળી રહે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 4:05 pm

મોરબીમાં જમીન કૌભાંડ: ખોટા દસ્તાવેજોથી વેચાણ:બે સામે ફરિયાદ, એક આરોપીની ધરપકડ

મોરબીના વજેપર વિસ્તારમાં વધુ એક જમીન કૌભાંડ સામે આવ્યું છે. જમીનના મૂળ માલિકના ખોટા આધારકાર્ડ, પાનકાર્ડ અને વારસાઈ આંબો બનાવીને જમીન વેચી દેવાનો પ્રયાસ થયો હતો. સમયસર જાણ થતાં મૂળ માલિકના પરિવારે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આ અંગે શનાળા રોડ પર ભક્તિનગર સર્કલ પાસે રહેતા બાબુભાઈ તળશીભાઇ ચાવડા (ઉં.વ. 40) એ ફરિયાદ નોંધાવી છે. તેમણે અમિતભાઈ મોહનભાઈ પરમાર (રહે. રાધા પાર્ક, મોરબી) અને દર્શિત પ્રવીણભાઈ મેવાડા (રહે. લાયન્સનગર, મોરબી) સહિત અન્ય અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરાવ્યો છે. ફરિયાદ મુજબ, વજેપર સર્વે નંબર 767 પૈકી 2માં ફરિયાદીની વડીલોપાર્જિત જમીન આવેલી છે. આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરું રચીને મિલનભાઈ પ્રકાશભાઈ ફુલતરિયાને આ જમીન વેચવાનો પ્રયાસ કર્યો હતો. આ માટે ફરિયાદીના પિતાના નામના ખોટા આધારકાર્ડ, પાનકાર્ડ અને વારસાઈ આંબો બનાવવામાં આવ્યા હતા. આરોપી અમિતભાઈ પરમારે તળશીભાઈ ભગવાનજીભાઈ ચાવડાનું ખોટું નામ ધારણ કરીને મિલનભાઈ ફુલતરિયાનો સંપર્ક કર્યો હતો. ખોટા દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કરીને ફરિયાદી અને સાહેદ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં આવી હતી. પોલીસે બાબુભાઈ ચાવડાની ફરિયાદના આધારે બે નામજોગ શખ્સો અને તપાસમાં ખુલે તેવા અન્ય આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. મોરબી એ ડિવિઝન પોલીસ ટીમે હાલમાં આરોપી અમિતભાઈ મોહનભાઈ પરમારની ધરપકડ કરી છે અને તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. અન્ય આરોપીઓને પકડવા માટે પણ કાર્યવાહી ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 4:03 pm

શહેરમાં 101 વિસ્તારોમાં ખાસ મતદાર સેવા કેમ્પ યોજાશે:SIR ખાસ ઝુંબેશ દ્વારા સ્થળાંતરિત કે રિડેવલપેમન્ટ સોસાયટીઓના લોકો આ કેમ્પનો લાભ લઈ શકશે

વડોદરા શહેર અને જિલ્લામાં ચાલી રહેલા મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી ડો.અનિલ ધામેલિયાએ મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે આખી સોસાયટી સ્થળાંતરિત થવા કે રિડેવલપમેન્ટ ચાલતી હોય એવી સોસાયટી માટે ખાસ મતદાર સેવા કેમ્પ આયોજન કરવામાં આવ્યું હોવાનું પણ જણાવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, ખાસ સુધારણા કાર્યક્રમ હેઠળ શહેર વિસ્તારમાં મતદાર યાદીની વિતરણ તથા ચકાસણીનું કામ મોટાભાગે પૂર્ણ થઈ ચૂક્યું છે. વિતરણ કામગીરીથી બહાર રહેલા તમામ વિસ્તારોને પણ આવરી લેવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન મોટા પ્રમાણમાં ફોર્મ્સ પ્રાપ્ત થયા છે તથા આજથી તેમની ડિજિટાઇઝેશન પ્રક્રિયા પણ ઝડપી ગતિએ શરૂ કરવામાં આવી છે. 101 વિસ્તારોમાં મતદાર સેવા કેમ્પોનું આયોજનડૉ. ધામેલિયાએ વધુમાં જણાવ્યું કે, વડોદરા શહેરમાં વસ્તી વધારે હોવાથી ખાસ વ્યવસ્થા રૂપે 101 વિસ્તારોમાં મતદાર સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવશે. આ કેમ્પો 15 અને 16 નવેમ્બરે શનિવાર અને રવિવારે ખાસ કેમ્પનું આયોજન કર્યું છે. આવી જ રીતે તા. 22 અને 23 નવેમ્બર એટલે કે આગામી શનિ-રવિવારે પણ આ ખાસ કેમ્પ યોજાશે. સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી કાર્યરત રહેશે. અરજદારોને મુશ્કેલી હોય તો કેમ્પમાં લાભ લઈ શકશેજે મતદારોને ફોર્મ મળ્યું ન હોય અથવા જેમને મેકિંગ/મેચિંગની પ્રક્રિયામાં મુશ્કેલી પડતી હોય, તેઓ આ કેમ્પોનો લાભ લઈ શકશે. મતદારોએ પોતાના ફોર્મ જમા કરાવવા હોઈ તો તે પણ આ કેન્દ્રોમાં જમા કરી શકશે. દરેક વોર્ડ ઓફિસો ખાતે પણ વધારાના હેલ્પ ડેસ્ક કાર્યરતમતદારોના સુલભ સંપર્ક માટે દરેક વોર્ડ ઓફિસો ખાતે પણ વધારાના હેલ્પ ડેસ્ક કાર્યરત રાખવામાં આવનાર છે, જેથી કોઈપણ માહિતી, માર્ગદર્શન અથવા સહાય સરળતાથી મળી શકે. જિલ્લા ચૂંટણી અધિકારીએ તમામ મતદારોને આ ખાસ અભિયાનમાં સક્રિય ભાગ લેવાની અને મતદાર યાદીમાં પોતાનું નામ સાચી રીતે સમાવિષ્ટ થાય તે માટે જરૂરી પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવા વિનંતી કરી છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 3:59 pm

પોલીસ કોન્સ્ટે.પતિના આડા સંબંધો અને ઢોર મારથી ત્રાસી પત્નીની આત્મહત્યા:ફાંસો ખાતો ફોટો મોકલી જિંદગી ટૂંકાવી, પતિએ સસરાને કહ્યું-'મારે જૂનાગઢ, મેંદરડા, માતરવાણીયામાં લફરું છે'

'મારે જૂનાગઢમાં લફરૂ છે, અહીંયા મેંદરડા સ્ટાફમાં લફરું છે અને માતરવાણીયા ગામમાં પણ લફરું છે' આ શબ્દો છે મેંદરડા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા આશિષ દયાતરના જેણે પોતાના સસરા સાથે કરેલી વાતચીતમાં લગ્નજીવન બાદ પણ અનેક જગ્યાએ લફરું હોવાનું સ્વીકાર્યું. ઉપરાંત યુવક અવાર નવાર તેની પત્નીને કોઈ કેદીની માફક માર મારતો હતો. જેથી કંટાળી પરિણીતાએ આપઘાત કરી લીધો હતો. પરિણીતાના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, યુવકે પોતાનું લફરું હોવાની વાત બહાર આવ્યા બાદ માફી માગી છતાં તેનું વર્તન ન બદલાતા પરિણીતાએ આખરે પતિને ફાંસો ખાતો ફોટો મોકલી જીવ ટુંકાવી લીધું હતું. પોલીસે પિતાની ફરિયાદના આધારે કોન્સ્ટેબલ પતિ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જમાઈ મારી દીકરી સાથે કેદીઓને માર મારતો હોય તેવું વર્તન કરતોમૃતક દીકરી ભાવિશાના પિતા ભરતસિંહ બાબરીયાએ પોલીસ સમક્ષ આપેલી ફરિયાદ અને મીડિયા સમક્ષ રજૂ કરેલા નિવેદનમાં પોતાના જમાઈ આશિષ દયાતરના અમાનવીય કૃત્યોનું વર્ણન કર્યું હતું. ભરતસિંહે જણાવ્યું કે તેમને સંતાનમાં ત્રણ દીકરીઓ અને એક દીકરો છે, જેમાં તેમની મોટી દીકરી ભાવિશાના લગ્ન પોલીસની નોકરી કરતા આશિષ સાથે થયા હતા. તેમણે શરૂઆતમાં આશિષના સાસરિયા પક્ષને સારો માન્યો હતો, પરંતુ લગ્ન બાદ આશિષે ભાવિશાને સતત માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તેમણે આક્ષેપ કર્યો કે, આશિષ ભાવિશાને ઢોર માર મારતો, તેની છાતી પર કલાકો સુધી બેઠો રહેતો અને પોલીસ કેદીને માર મારે તેમ માર મારતો. છેલ્લે તો ભાવિશાને 28 દિવસ સુધી સતત માર મારવામાં આવ્યો હતો. ભાવિશાને માર મારવાની સાથે તે બટકા પણ ભરતો હોવાનું દીકરીએ પિતાને જણાવ્યું હતું. એસિડ પીવાનો પ્રયાસ અને પોલીસ સ્ટાફનું દબાણભાવિશાએ પતિના ત્રાસથી કંટાળીને ગત 28 તારીખે એસિડ પીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો. સારવાર માટે લઈ જવામાં આવ્યા ત્યારે મામલો ગંભીર બન્યો હતો. ભાવિશાના પિતા ભરતસિંહે જણાવ્યું કે, તે સમયે મેંદરડા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા આશિષના પોલીસ સ્ટાફના સાહેબોએ તેમની દીકરી ભાવિશાને સમજાવી કે, આશિષ અમારા પોલીસ સ્ટાફનો છે, કંઈ કરતા નહીં. પોલીસ સ્ટાફના આ દબાણને માનીને ભરતસિંહે દીકરીને માળીયા હાટીના નજીક આવેલા ભીખોર ગામે લઈ આવ્યા. ભીખોર આવ્યા બાદ ભાવિશાએ પિતાને આશિષના તમામ કાળા કામો અને ત્રાસની કહાણી જણાવી હતી. પિતાએ સમાજનું નામ આપી કેસ ન કરવા સમજાવીદીકરીએ કરેલા અમાનવીય ત્રાસના નિવેદન બાદ ભાવિશાએ પિતાને પોલીસ કેસ કરવાની વાત કરી હતી. પરંતુ ભરતસિંહે પોતાની સામાજિક પ્રતિષ્ઠા અને અન્ય બે દીકરીઓના લગ્નને ધ્યાનમાં રાખીને કેસ ન કરવા માટે દીકરીને સમજાવી હતી. ભરતસિંહે કહ્યું, દીકરી આપણો સમાજ છે શાંતિ જાળવી રાખ, વધુ સારું થઈ જશે, હજી તારી બે બહેનોના પણ લગ્ન કરવાના બાકી છે. મારું ગામમાં નામ મોટું છે, આપણે આ કેસ-કબાડામાં નથી પડવું. પિતાના આ નિર્ણય બાદ ભાવિશા નિરાશ થઈ ગઈ હતી અને આશિષને ફોન-મેસેજ કર્યા, પરંતુ આશિષે કોઈ જવાબ આપ્યો ન હતો, જેના કારણે ભાવિશાએ નિરાશ થઈને પોતાનું જીવન ટૂંકાવવાનું પગલું ભર્યું. ઓડિયો ક્લિપમાં આશિષે કબૂલ્યા ત્રણ આડા સંબંધોઆ સમગ્ર કેસમાં સૌથી મોટો પુરાવો મૃતક ભાવિશાના પતિ આશિષ દયાતર અને ભાવિશાના પિતા ભરતસિંહ વચ્ચે થયેલી ઓડિયો ક્લિપ છે. આ ઓડિયો ક્લિપમાં આશિષ દયાતરે પોતે જ અન્ય સ્ત્રીઓ સાથેના આડા સંબંધો હોવાનું કબૂલ્યું હતું. ઓડિયો ક્લિપમાં આશિષ કહે છે કે, હું કબૂલું છું કે મારે જૂનાગઢમાં લફરું છે, મેંદરડા સ્ટાફમાં લફરું છે અને માતરવાણીયા ગામમાં પણ લફરું છે. આશિષે તેના સસરાને વિનંતી કરી હતી કે, તમે કોઈને મારે લફરું છે તેવી વાતો ન કરતા. મને બીક લાગી ગઈ છે, મને ઘરે ખીજાશે, મારા પપ્પા મારી ધૂળ કાઢી નાખશે, જો આ લફરાની ખબર પડશે તો. ફોનની આ વાતચીતમાં આશિષે ત્રાસ આપવાનું બંધ કરવાની અને આજથી જ બધા લફરા મૂકી દેવાની ખાતરી આપી હતી. જોકે, ભાવિશાએ તેના પિતાને કહ્યું કે, પપ્પા આશિષ એક્ટિંગ કરે છે, અને મને ડર લાગે છે, આશિષે અચાનક તેનું વર્તન કેમ બદલી નાખ્યું? અંતે આશિષે ફોનનો જવાબ ન આપતા ભાવિશા નિરાશ થઈ અને ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી. પોલીસે કોન્સ્ટેબલ પતિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરીમાળિયા હાટીના પોલીસે મૃતક ભાવિશાના પિતા ભરતસિંહ બાબરીયાની ફરિયાદના આધારે પોલીસ કોન્સ્ટેબલ પતિ આશિષ દયાતર વિરુદ્ધ પત્નીને મરવા મજબૂર કરવા બદલ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરતસિંહે સરકારને અપીલ કરી છે કે, તેમની દીકરી ભાવિશાને ન્યાય મળવો જોઈએ અને અન્ય દીકરીઓ પર આ દુઃખ ન પડે તે માટે કડક કાર્યવાહી કરવામાં આવે. પોલીસ કોન્સ્ટેબલ જેવા જવાબદાર પદ પર રહેલી વ્યક્તિ દ્વારા પત્નીને ત્રાસ આપી આત્મહત્યા માટે મજબૂર કરવાના આ કેસમાં પોલીસ તંત્ર કેવા પગલાં લે છે તે જોવાનું રહે છે. માંગરોળ ડીવાયએસપી દિનેશ કોડીયાતારે જણાવ્યું હતું કે માતવાણીયા ગામે પિખોર રહેતા ભરતસિંહ બાબરીયાની દીકરી ભાવિશાના લગ્ન પાંચ વર્ષ પહેલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા આશિષ દયાતર સાથે થયા હતા જે આશિષ તેની પત્ની ભાવિશાને માનસિક ત્રાસ આપતો હતો અને વારંવાર ઝઘડા કરતો હતો જેનાથી કંટાળી ભાવિશાએ ઘરે ગળેફાંસો ખાય આત્મહત્યા કરી લીધી હતી, જેને લઇ મૃતક ભાવિશા ના પિતા ભરતસિંહ બાબરીયા ની ફરિયાદના આધારે માળિયા હાટીના પોલીસ પોલીસ કોન્સ્ટેબલ આશિષ દયા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 3:48 pm

લાયસન્સ ન મેળવનાર ઢોરવાડાને નોટિસ:વડોદરામાં રાત્રીના સમયે ઢોર છુટ્ટા મુકીદેનાર સોમા તળાવના 25 ઢોરવાડા સંચાલકોને પાલિકાની નોટિસ

વડોદરા શહેરમાં રખડતી ગાયના વધતાં ત્રાસ વચ્ચે પાલિકાએ સોમા તળાવ વિસ્તારમાં રખડતા ઢોર અંગે હાથ ધરેલા સર્વેના આધારે 25 જેટલા ઢોરવાડાના સંચાલકોને નોટિસ પાઠવી છે. નોટિસ મેળવનાર કોઈપણ ઢોરવાડા સંચાલકે લાયસન્સ લીધા નથી. શહેરમાં વાહન ચાલકોની સુરક્ષાનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યોઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પૂર્વે શહેરના નિઝામપુરા વિસ્તારમાં રખડતા ઢોરના કારણે બાઇક ચાલક ભોગ બન્યો હતો. રાત્રિના સમયે પસાર થતા વાહનની વચ્ચે ઢોર આવી જતા યુવાન ડિવાઈડર પર પછડાયો હતો. સમગ્ર ઘટના બાદ રખડતા પશુના કારણે શહેરમાં વાહન ચાલકોની સુરક્ષાનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. 25 ઢોરવાડાના સંચાલકોને નોટિસ પાઠવવામાં આવીઆ સમગ્ર ઘટના બાદ પાલિકાની ઢોર ડબ્બા ટીમે નિઝામપુરાના કેટલાક ઢોરવાડા સંચાલકોને નોટિસ પાઠવી હતી. આ સાથે શહેરના સોમા તળાવ વિસ્તારમાં આવેલ ઢોરવાડા ખાતે પણ પાલિકા તંત્રએ સર્વે હાથ ધર્યો હતો. જેમાં અહીં રાત્રિના સમયે નાગરિકોના જીવ જોખમમાં મુકાય તે રીતે ઢોર છોડી દેનાર 25 ઢોરવાડાના સંચાલકોને નોટિસ પાઠવવામાં આવી છે. નોટિસ આપવામાં આવેલ 25 પૈકી એકપણ ઢોરવાડા સંચાલકે કોર્પોરેશનની વોર્ડ કચેરી ખાતેથી જરૂરી લાયસન્સ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી નથી. ગૌપાલકની બેજવાબદાર નીતિના કારણે હાલ અનેક વાહન ચાલકો, રાહદારીઓ અને નાગરિકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 3:40 pm

બાળદિનની દાનોત્સવ તરીકે ઉજવણી:આણંદની યુરોકિડ્સ અને આર.આર. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા બાળસંભાળ ગૃહ/જુવેનાઇલ બાળકોને વિકાસકારક તથા ઉપયોગી ભેટો અર્પણ કરી

આણંદમાં આવેલી યુરોકિડ્સ અને આર.આર. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલે 14 નવેમ્બરના રોજ બાળદિનની દાનોત્સવ તરીકે ઉજવણી કરી હતી. આ અવસરે શાળા અને વાલીઓએ બાળ સંભાળ ગૃહ તથા જુવેનાઇલ બાળકોને વિકાસલક્ષી અને ઉપયોગી ભેટો અર્પણ કરી હતી. આ ભેટો 18 વર્ષથી ઓછી ઉંમરના એવા બાળકોને આપવામાં આવી હતી, જેઓ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે અથવા બાળ સંભાળ ગૃહોમાં રહે છે. શાળાનો ઉદ્દેશ્ય આવા બાળકોને સમાજમાં ફરીથી જોડવાનો અને તેમને સારો માર્ગ અપનાવવા પ્રેરણા આપવાનો હતો. આવા બાળકો ઘણીવાર અવગણના, માર્ગદર્શનનો અભાવ અને આત્મવિશ્વાસની કમીનો સામનો કરતા હોય છે. સંબંધિત સત્તાધિકારીઓની વિશેષ મંજૂરી સાથે, પસંદ કરાયેલા બાળકોને કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમને વ્યક્તિગત રીતે ભેટો મળી અને શાળા-સમાજ સાથે સકારાત્મક વાતચીત કરવાની તક મળી. આ પહેલનો મુખ્ય હેતુ તેમને પોતાની ભૂલો સમજવા અને જીવનમાં સુધારાની તક મેળવવા પ્રોત્સાહિત કરવાનો હતો. આ ઉપરાંત, બાળકો સાથે રમતગમતની પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી હતી, જેથી તેમની પ્રતિભાઓને ખીલવવામાં મદદ મળી શકે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 3:40 pm

જામનગરમાં જનજાતિય ગૌરવ ઉત્સવ કાર્યક્રમ યોજાયો:રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવાઈ

ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતમાં 1થી 15 નવેમ્બર દરમિયાન જનજાતિય ગૌરવ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત, જામનગર શહેરના ટાઉનહોલ ખાતે શિક્ષણના રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડા આદિવાસી સમાજના મહાન યોદ્ધા, સમાજ સુધારક અને આંદોલનકાર હતા. તેમણે બ્રિટિશ શાસન સામે આદિવાસી સમુદાયને એકત્રિત કરી આર્થિક અને સામાજિક શોષણ પ્રણાલીઓને પડકાર આપ્યો હતો. તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને આંદોલનના કારણે તેઓ 'ભગવાન બિરસા' તરીકે લોકપ્રિય બન્યા. મુંડાએ આદિવાસી સમાજમાં એકતા લાવી આધુનિક શિક્ષણ અને સ્વચ્છતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે 'ઉલગુલાન' નામક પ્રખ્યાત આદિવાસી વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું. માત્ર 25 વર્ષના જીવનકાળમાં તેમના આંદોલન અને ત્યાગને કારણે તેઓ આજે પણ આદિવાસી સમુદાય માટે 'ભગવાન બિરસા' તરીકે પૂજાય છે. રાષ્ટ્રનિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ 2021માં બિરસા મુંડાના જન્મદિવસ, 15 નવેમ્બરને 'જનજાતિય ગૌરવ દિવસ' તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ણય કરાયો છે. રાજ્ય સરકારે 7 થી 14 નવેમ્બર સુધી અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર સુધી કુલ 1,378 કિ.મી.ની 'જનજાતિય ગૌરવ રથ યાત્રા'નું પણ આયોજન કર્યું છે. વડાપ્રધાન મોદીએ 15 નવેમ્બરને 'જનજાતિય ગૌરવ દિવસ' તરીકે ઉજવવાની પ્રણાલી શરૂ કરાવી આદિજાતિ અસ્મિતાને ગૌરવ અપાવ્યું છે. દેશમાં તેમની 150મી જન્મજયંતિની ઉજવણી માત્ર ઔપચારિક નહીં, પરંતુ આદિજાતિ સમુદાયમાં સામાજિક ચેતના અને ગૌરવ ઉજાગર કરવામાં નિમિત્ત બનશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું. કાર્યક્રમમાં મંત્રીના હસ્તે જામનગર જિલ્લાના વિવિધ વિભાગો હેઠળના કુલ રૂ. 21,774.61 લાખના 54 પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત તથા રૂ. 2,449.92 લાખના 106 પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આમાં માર્ગ અને મકાન વિભાગ, શિક્ષણ વિભાગ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, નર્મદા, જળસંપત્તિ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કામોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ 'ધરતી આબા' ભગવાન બિરસા મુંડાના જીવન ચરિત્ર પરની ફિલ્મ નિહાળી હતી અને તેમના જીવન વિશે વક્તવ્ય રજૂ કરાયું હતું. ત્યારબાદ મહાનુભાવોના હસ્તે આદિજાતિ સમાજના અગ્રણીઓ, વિવિધ સ્પર્ધાઓમાં પસંદ થયેલા વિદ્યાર્થીઓ અને શ્રેષ્ઠ શાળાઓના આચાર્યનું સન્માન કરવામાં આવ્યું હતું. વિવિધ યોજનાઓ હેઠળ, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી વિતરણ તથા મંજૂરીપત્રો અપાયા હતા. ત્રણ સખી મંડળોને કેસ ક્રેડિટ લોન અંતર્ગત રૂ. 14 લાખના ચેક તથા પ્રધાનમંત્રી સ્વનિધિ અંતર્ગત શહેરી ફેરિયાઓ માટે લોનની રકમના ચેક પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ વડા ડો.રવિમોહન સૈની, અગ્રણી બિનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા, મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, અધિકારીઓ, અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન હરિદેવ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 3:33 pm

રાજકોટ મનપાની મુખ્ય કચેરીએ જન્મ-મરણનાં દાખલા કઢાવવા લાંબી લાઈન:'કલાકો ઉભા રહેવા છતાં કામ થતું નથી', કુલ 7 કાયમી કર્મચારી પૈકી 6ને 'SIR'ની કામગીરી સોંપાતા અરજદારો પરેશાન

રાજકોટ મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીએ સિવિક સેન્ટર ખાતે હાલમાં જન્મ અને મરણના દાખલા કઢાવવા આવતા સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ ચરમસીમાએ પહોંચી છે. આ વિભાગના કુલ 7 કાયમી કર્મચારીઓ પૈકી 6ને મતદાર યાદી સુધારણા (SIR)ની કામગીરીઓ સોંપાતા, જન્મ-મરણ વિભાગમાં સ્ટાફની ભારે અછત સર્જાઈ છે. જેના કારણે અરજદારોને કલાકો સુધી લાંબી કતારોમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે. અને આમ છતાં જન્મ કે મરણનો દાખલો મળતો નથી. જેને લઈને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. સવારથી જ લોકોની લાંબી લાઈનો લાગી'તીએક તરફ જ્યાં નાગરિકો માટે જન્મ કે મરણનો દાખલો તાત્કાલિક જરૂરિયાતનું ડોક્યુમેન્ટ હોય છે, ત્યાં બીજી તરફ સરકારી કામગીરીની પ્રાથમિકતા બદલાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સિવિક સેન્ટરના જન્મ-મરણ વિભાગની બહારનો નજારો જ જણાવે છે કે અહીં કામગીરી કેટલી ધીમી ગતિએ ચાલી રહી છે. સવારથી જ લોકોની લાંબી લાઈનો લાગી જાય છે, પરંતુ કામકાજની ગતિ એટલી ધીમી છે કે અનેક અરજદારોને નિરાશ થઈને પાછા ફરવું પડે છે. હાલ સમગ્ર વિભાગનું કામકાજ માત્ર 1 કાયમી અધિકારી જ સંભાળે છેઆ પરિસ્થિતિનું મુખ્ય કારણ કર્મચારીઓની અછત છે, જે મતદાર યાદીની કામગીરીને કારણે ઉભી થઈ છે. આ અંગે અધિકારીઓ પાસેથી જાણવા મળ્યા મુજબ, હાલ સિવિક સેન્ટરમાં જન્મ-મરણ વિભાગની કામગીરી માટે 7 કાયમી કર્મચારીઓ છે. જોકે આ પૈકી 6 કર્મચારીઓને મતદાન સંબંધિત કામગીરીનાં ઓર્ડર આવતા કામગીરી ધીમી ચાલી રહી છે. સમગ્ર વિભાગનું કામકાજ માત્ર 1 કાયમી અધિકારી તેમજ કોન્ટ્રાક્ટ બેઝ પર રાખવામાં આવેલા સ્ટાફ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. આટલા ઓછા સ્ટાફના ભરોસે જન્મ-મરણ જેવા આવશ્યક દસ્તાવેજોની કામગીરી કરવી મુશ્કેલ હોવાથી લાઈનો લાગી રહી છે. '4 કલાકથી લાઈનમાં ઊભો છું, પણ હજી સુધી મારો વારો આવ્યો નથી'અરજદાર આનંદભાઈએ દિવ્યભાસ્કર સમક્ષ પોતાનો રોષ અને હતાશા વ્યક્ત કરી હતી. આનંદભાઈ જન્મનો દાખલો કઢાવવા માટે સિવિક સેન્ટર પહોંચ્યા હતા, પરંતુ તેમને ભારે નિરાશા મળી. તેમણે જણાવ્યું કે, હું અહીં છેલ્લા 4 કલાકથી લાઈનમાં ઊભો છું, પણ હજી સુધી મારો વારો આવ્યો નથી. લાઈનમાં ઊભેલા લોકો આગળ વધતા જ નથી, કારણ કે અંદર કામકાજ ખૂબ ધીમું ચાલે છે. પ્રવેશ માટે પણ માત્ર એક જ જગ્યા છે, જેના કારણે ભીડ જામી રહે છે. અહીં કામગીરી સાવ ધીમી ચાલે છે અને જે સાહેબો હતા તે બધા મતદાનની કામગીરીમાં ગયા છે. અહીં અરજદારોને યોગ્ય માર્ગદર્શન આપી શકે કે તેમનું કામ ઝડપથી પતાવી શકે તેવું કોઈ હાજર નથી. 'લાંબી રાહ જોયા પછી પણ જો કામ નહીં થાય તો અમારે ઘરે જવું પડશે'વધુમાં તેમણે જણાવ્યું કે, જન્મ તારીખનો દાખલો એ ખૂબ જ અગત્યનું ડોક્યુમેન્ટ છે, જે શાળા પ્રવેશથી લઈને સરકારી યોજનાઓ સુધીની અનેક જગ્યાએ જરૂરી હોય છે. આવા મહત્ત્વના દસ્તાવેજ માટે સામાન્ય નાગરિકોને આટલા કલાકો સુધી હેરાન થવું પડે તે યોગ્ય નથી. પોતાની હતાશા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, મને લાગે છે કે આજે દાખલો નીકળે તેમ જ નથી. આટલી લાંબી રાહ જોયા પછી પણ જો કામ નહીં થાય તો હવે અમારે એમ ને એમ પાછું ઘરે જવું પડશે. અને ફરી પાછું આવવું પડશે. શહેરના લોકો મનપાના સિવિક સેન્ટરના ધક્કા ખાઈ રહ્યા છેઆ ઘટના માત્ર આનંદભાઈની જ નહીં, પરંતુ રાજકોટના અનેકવિધ એવા નાગરિકોની વ્યથા રજૂ કરે છે, જેઓ પોતાના અગત્યના દસ્તાવેજો કઢાવવા માટે મનપાના સિવિક સેન્ટરના ધક્કા ખાઈ રહ્યા છે. ચૂંટણી કે મતદાર યાદીની કામગીરી રાષ્ટ્રીય મહત્ત્વની હોવા છતાં, મનપાના વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને પડતી દૈનિક જરૂરિયાતોને અવગણવામાં આવી રહી છે. જન્મ અને મરણના દાખલા તાત્કાલિક ન મળવાથી અનેક કાયદાકીય અને વહીવટી પ્રક્રિયાઓ અટકી પડે છે. આ પરિસ્થિતિમાં જન્મ-મરણ વિભાગમાં અન્ય વિભાગોમાંથી વધારાના કર્મચારીઓને ટ્રાન્સફર કરીને નાગરિકોને થતી હાલાકીનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે તે જરૂરી છે. જોકે તંત્ર આ માટે ક્યારે જાગે છે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 3:30 pm

શહેરમાં હવે ડિવાઈડર અને વોલની સફાઈ કરવી સરળ થશે:મનપા મિકેનિક ટીમે વોટર સ્પ્રે વ્હિકલ બનાવ્યું, બિનઉપયોગી ટ્રીપરને મોડિફાઈ કરી મશીન તૈયાર કર્યું

મહેસાણા મનપાની મિકેનિકલ ટીમે શહેરના ડિવાઈડર અને વોલની સફાઈ માટે એક નવીન ઉકેલ રજૂ કર્યો છે. ટીમે એક બિનઉપયોગી ટ્રીપર વાહનને સફળતાપૂર્વક મોડિફાઈ કરીને વોટર સ્પ્રે વ્હીકલમાં રૂપાંતરિત કર્યું છે. આ ખાસ મશીનથી હવે શહેરની દીવાલો અને રોડ ડિવાઈડરની સફાઈનું કામ ખૂબ જ સરળ અને ઝડપી બનશે. બિનસમતલ જગ્યાઓ પર સરળતાથી સફાઈ થઈ શકશેજોકે સફાઈના કામે બિનસમતલ જગ્યાઓ અને બાંધકામો વાળા સ્ટ્રક્ચર પર જામતી ધૂળની સફાઈ કરવી થોડી કઠિન રહેતી હતી. જેથી સફાઈના કામે સર્જાયેલ આ સમસ્યાના સમાધાન માટે મનપાની મેકેનિકલ ટીમે તેનો ઉપાય શોધી કાઢ્યો છે. ટ્રીપરને મોડિફાઈ કરી મશીન બનાવ્યુંસામાન્ય રીતે કલા અને કુશળતા એ દરેક વ્યક્તિ અને સંસ્થાઓમાં હોય છે જેને તક આપી માર્ગદર્શન સાથે પ્રોતસાહિત કરતા જાગૃત કરતા એક વિશેષ પરિણામ સામે આવતું હોય છે. ત્યારે મહેસાણા મનપામાં ડિવાઈડર અને દીવાલોની સફાઈ માટે એક વ્યવસ્થા ઉભી કરવાં માટે ઉભી થયેલી જરૂરિયાતને લઈ ચર્ચા કરતા મનપાના કમિશનર રવિન્દ્ર ખતાલે અને ડે. કમિશનર એ.બી.મંડોરીના સહકારથી ગેરેજ શાખાની મેકેનિકલ ટીમે લાંબા સમયથી બિનઉપયોગી પડી રહેલા એક ટ્રીપરને સાફ સુતરું કરી તેની બોડીને મોડીફાઇડ કરી હતી. વોટર સ્પ્રે પમ્પ સહિતનું સ્ટ્રક્ચર ફિટિંગ જેમાં એક નાની વોટર ટેન્ક અને વોશ પાઇપ તેમજ વોટર સ્પ્રે પમ્પ સહિતનું સ્ટ્રક્ચર ફિટિંગ કરી અંદાજીત કાઢ્યો, 40 હજારના ખર્ચમાં સંસ્થા માટે કાયમી વોટર સ્પ્રે મશીન તૈયાર કર્યું હતું. ડિવાઈડરો, મોટી દીવાલો, જાહેર શૌચાલયો વગેરેની સફાઈ માટે ઉપયોગ થશેઆ મશીનનો ઉપયોગ શહેરના જાહેર રોડ રસ્તા પરના ડિવાઈડરો, કોઈ મોટી દીવાલો, જાહેર શૌચાલયો વગેરેની સફાઈ માટે થઈ શકશે. મહત્વનું છે કે, આ મશીનને એ રીતે નિર્માણ કરાયું છે કે, ઓછા પાણીમાં પણ તીવ્ર પાણીનો સ્પ્રે થતા વિવિધ જગ્યાની સારી સફાઈ થઈ શકશે

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 3:22 pm

પાલનપુરમાં વિદ્યાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપનની તાલીમ અપાઈ:GSDMA અને કલેક્ટર કચેરી દ્વારા આયોજન કરાયું

પાલનપુર કલેક્ટર કચેરી ખાતે એસ.એસ. ગોવિંદા ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓ માટે આપત્તિ વ્યવસ્થાપન તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) અને કલેક્ટર કચેરી દ્વારા સંયુક્ત રીતે યોજાઈ હતી. આ તાલીમનો મુખ્ય હેતુ કુદરતી અને માનવસર્જિત આપત્તિઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને બાળકોમાં આપત્તિ વ્યવસ્થાપન અંગેની સમજણ વધારવાનો હતો. કલેક્ટર અને GSDMA, ગાંધીનગર દ્વારા વિવિધ જૂથો માટે આવી તાલીમ અને મોક ડ્રિલનું નિયમિતપણે આયોજન કરવામાં આવે છે. આ તાલીમના ભાગરૂપે, GVK 108 અને ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી નવીન 112 યોજનાનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 3:19 pm

બિરસા મુંડાની 150મી જન્મજયંતિ: પાટણમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઈ

ભારતના વિખ્યાત જનનાયક અને સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે કેન્દ્ર સરકારે “જનજાતિય ગૌરવ વર્ષ”ની ઉજવણીની જાહેરાત કરી છે. આ ગૌરવપૂર્ણ અવસરે પાટણ જિલ્લામાં જિલ્લા કક્ષાના એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના કન્વેન્શન હોલ ખાતે યોજાયો હતો. કાર્યક્રમની અધ્યક્ષતા જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોરે કરી હતી. ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત, જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ સહિત અનેક મહાનુભાવો અને પદાધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સમારોહ દરમિયાન વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ અને કર્મચારીઓનું સન્માન કરી તેમને બિરદાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે આદિવાસી સંસ્કૃતિ અને વારસાને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા. પૂર્વ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન બિરસા મુંડાના વિચારો અને કાર્યોને જીવંત રાખવા માટે તેમની ૧૫૦મી જન્મજયંતિ પ્રસંગે વિશેષ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. સરકારનો પ્રયાસ છે કે આ કાર્યક્રમો દ્વારા તેમના પ્રેરણાદાયી વિચારો લોકો સુધી પહોંચે અને યુવાનો તેમના જીવનમાંથી પ્રેરણા લે. આ કાર્યક્રમ ભગવાન બિરસા મુંડાના બલિદાન અને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમના યોગદાનને યાદ કરવા માટે એક પ્રેરણાદાયી મંચ બની રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 3:18 pm

'એકના બદલે પાંચ લાખ અને સસ્તા ભાવે સોનું લઈ જાઓ':ભુજમાં 'એકના ડબલ' કરતી ગેંગનો સાગરીત ઝડપાયો, નકલી સોનું અને 99.30 લાખની સાચી-ખોટી નોટો જપ્ત

ભુજમાં સસ્તા સોના અને નકલી ચલણી નોટોના નામે સ્થાનિક સાથે પરપ્રાંતીય લોકો સાથે છેતરપિંડી કરાઈ હોવાની અનેક ઘટનો બાદ પણ આ સિલિસલો ચાલુ રાખતી એક ગેંગનો પર્દાફાશ થયો છે. એલસીબીએ એકની અટકાયત કરી અન્ય ચારની સંડોવણી ખુલી પાડી છે. આરોપીઓ સોશિયલ મીડિયા પર એક લાખના બદલે પાંચ લાખ અને સસ્તા ભાવે સોનાની ઓફર કરીને છેતરપિંડી કરતા હતા. 1.14 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્તપશ્ચિમ કચ્છ-ભુજની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ 'એકના ડબલ' અને સસ્તા સોનાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. LCBએ મુખ્ય આરોપી અજરુદ્દીન કાસમશા શેખની ધરપકડ કરી તેની પાસેથી રૂ. 99.30 લાખની સાચી-ખોટી ચલણી નોટો, 11 નકલી સોનાના બિસ્કિટ, એક સાચું સોનાનું બિસ્કિટ અને રોકડ સહિત કુલ રૂ. 1.14 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર મુકતાઆ ગેંગ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા એપ્લિકેશનો પર અલગ-અલગ આઈડી બનાવીને સક્રિય હતી. તેઓ ભારતીય ચલણી નોટોના બંડલો (જેમાં પ્રથમ નોટ સાચી અને બાકીની કોરી હોય) અને સસ્તા સોનાના બિસ્કિટના વીડિયો બનાવી વાયરલ કરતા હતા. આ વીડિયો દ્વારા તેઓ લોકોને એક લાખના પાંચ લાખ કરવા અથવા બજાર ભાવ કરતાં સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપતા હતા. બાતમી મળતા પોલીસે કાર્યવાહી કરીLCB પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પીઆઇ એચ.આર. જેઠી અને પીએસઆઇ જે.બી. જાદવે આવા ગુનાઓ અટકાવવા અને આરોપીઓને પકડવા માટે સૂચના આપી હતી. આ સૂચનાના આધારે પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે, ભુજના સરપટનાકા પાસે શેખ ફળિયામાં રહેતા રમજુશા કાસમશા શેખ, અજરુદ્દીન કાસમશા શેખ અને અલીશા કાસમશા શેખ ચીટિંગ કરવાની ટેવવાળા છે. તેઓ સોશિયલ મીડિયા પર લોભામણા વીડિયો બનાવી લોકોને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરી રહ્યા છે. એક આરોપી ઝડપાયો, ચાર ફરારઆ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અજરુદ્દીન કાસમશા શેખ (ઉં.વ. 26)ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી કુલ રૂ. 99,30,000ની સાચી અને ખોટી ભારતીય ચલણી નોટો, 11 સોના જેવી ધાતુના નકલી બિસ્કિટ, મોબાઈલ ફોન, સિમકાર્ડ, રૂ. 2,13,400 રોકડા અને 12,70,000ની કિંમતનું એક સાચું સોનાનું બિસ્કિટ જપ્ત કરવામાં આવ્યું હતું. આ મામલે અજરુદ્દીન કાસમશા શેખ ઉપરાંત રમજુશા કાસમશા શેખ, અલીશા કાસમશા શેખ, શેખડાડા (રહે. અંજાર) અને સુલતાન લંધા (રહે. ભુજ) વિરુદ્ધ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 'પોલીસે શંકાસ્પદ ઇસમોના ઘરે તપાસ કરી'આ અંગે નાયબ પોલીસવડા એમ.જે. ક્રિશ્ચિયને જણાવ્યું હતું કે, ભુજ અને પશ્ચિમ વિભાગમાં ભૂતકાળમાં સસ્તા સોના અને નકલી ચલણી નોટોના આધારે અનેકવાર છેતરપિંડીના બનાવો બની ચુક્યા છે. ત્યારે આ પ્રજારનાં ગુનાઓ બનતા અટકાવવા પોલીસ વડાની સુચનના આધારે એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન ટીમના જીવરાજ ગઢવી અને શક્તિદાન ગઢવીને મળેલી બાતમીના આધારે ભુજના સરપટ ગેટ વિસ્તારમાં રહેતા શંકાસ્પદ ઇસમોના ઘરે તપાસ કરતા ઘરના સેટી પલંગ અંદરથી 200-500ના ચલણની સાચી-ખોટી નોટના બંડલ તથા 12માંથી 11 ખોટા સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. '11 ખોટા અને એક અસલી સોનાનું બિસ્કિટ મળ્યું'એમ.જે. ક્રિશ્ચિયને વધુમાં જણાવ્યું કે, આ સમયે અઝરૂડીન કાસમસા શેખ હાજર મળી આવ્યો હતો. જ્યારે તેના બે ભાઈ રમઝુસા અને અલીસા સાથે અન્ય બે આરોપીની શોધ શરૂ કરવામાં આવી છે. આ લોકો સામે પહેલા પણ છેતરપિંડી, લૂંટ અને મારામારીની પોલીસ ફરિયાદ દુધઈ મથકે નોંધાયેલી છે. આરોપીઓ ચિલ્ડર્ન બેંકની છાપેલી નકલી નોટો ઉપર એક નોટ અસલી દેખાડી તેના વીડિયો બનાવી સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરતા હતા અને લોકોને છેતરવા પ્રયાસ કરતા હતા. આરોપીના ઘરેથી 11 ખોટા અને એક અસલી સોનાનું બિસ્કિટ મળી આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 3:14 pm

વતનનું ઋણ ચૂકવવા ઉદ્યોગપતિ કૃષ્ણગઢની કાયાપલટ કરશે:સંજય મુંજપરા 25 કરોડના ખર્ચે ગટર, પાણી, સ્ટ્રીટલાઇટ અને CCTV સહિતની સુવિધાઓ ઊભી કરશે, રાજ્યપાલના હસ્તે ખાતમુહૂર્ત

ઉદ્યોગપતિ ડૉ. સંજય મુંજપરા રૂ. 24 કરોડના ખર્ચે અમરેલીના સાવરકુંડલા તાલુકાના કૃષ્ણગઢ ગામની કાયપલટ કરશે. ગામમાં વિવિધ વિકાસ કાર્યો કરાશે જેનું ખાતમુહૂર્ત આજે રાજ્યપાલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. 25 કરોડના ખર્ચે ગટર, પાણી, સ્ટ્રીટ લાઈટ અને CCTV સહિતની સુવિધાઓ ઊભી કરાશે. વતનમાં પાયાની સુવિધાઓ ઊભી કરવા સંકલ્પ લીધોમહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાંથી અનુસ્નાતકનો અભ્યાસ કરનાર ડૉ. સંજય મુંજપરાએ ગ્રામીણ વિકાસ અંગે ઊંડી સમજ પ્રાપ્ત કરી છે. તેમણે પોતાના વતનમાં પાયાની સુવિધાઓ ઊભી કરવા, તેની કાયમી જાળવણી કરવા અને ખેતી ક્ષેત્રે વિજ્ઞાન-ટેકનોલોજીનો ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતી તથા સંલગ્ન ઉદ્યોગો વિકસાવવાનો સંકલ્પ લીધો છે. ગામ અને તેની આસપાસનો વિસ્તાર કુદરતી સૌંદર્યથી ભરપૂરકૃષ્ણગઢ ગામની સ્થાપના મહારાજા કૃષ્ણકુમારસિંહએ કરી હતી. ગીર કાંઠા પર આવેલું આ ગામ આશરે બે હજારની વસ્તી ધરાવે છે, જેમાંથી અડધી વસ્તી રોજગારી માટે સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં સ્થાયી થઈ છે. આ ગામ અને તેની આસપાસનો વિસ્તાર કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. લગભગ 52 હજાર એકર જેટલો જંગલ વિસ્તાર અને નયનરમ્ય ડેમ (તળાવ) આ વિસ્તારની શોભામાં વધારો કરે છે. રાત્રિના સમયે ગીરના સિંહો પણ ગામ અને આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે. ઉદ્યોગપતિ ડૉ. સંજય મુંજપરાએ જણાવ્યું કે, કૃષ્ણગઢ ગામમાં મારો જન્મ થયો અને પછી અભ્યાસ માટે હું અમદાવાદમાં સ્થાયી થયો હતો. ત્યારે માતૃભૂમિનું ઋણ ચુકવવા માટે 25 કરોડના ખર્ચે ગામની તમામ આંતરમાળખાકીય સુવિધાઓ જેવી શહેરમાં હોય છે તેવી જ સુવિધાઓ કૃષ્ણગઢ ગામમાં ઊભી કરાશે. ગામમાં રોડ-રસ્તા, પાણી, ગટર, મંદિર, સમાજવાડી સહિતની સુવિધાઓનો સમાવેશ કરાયો છે. જે વતનપ્રેમી વ્યક્તિઓ છે તે પોતાની જન્મભૂમિને શણગાણે અને આવનારા સમયમાં પોતાના ગામને કૃષ્ણગઢ જેવું બનાવે એવો હું લોકોને સંદેશો આપવા માગુ છું. વતન પ્રત્યે ઋણ ચુકવવાનો અવારનવાર વિચાર આવતોવર્ષ 2006માં ગુજરાતમાં સૌથી નાની વયે અર્થશાસ્ત્ર વિષયમાં પીએચડીની પદવી ગ્રહણ કરીને સંજય મુજપરાએ અધ્યાપન કાર્યને પસંદ ન કરતાં ઉદ્યોગસાહસિક બનવાનું સ્વપ્ન સેવ્યું હતું. આ ક્ષેત્રમાં અસાધારણ દેખાવ કર્યા બાદ સંજય મુજપરાને રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન શું હોય શકે? તેનો અવારનવાર વિચાર આવ્યા કરતો હતો. સાથે સાથે સમગ્ર રાષ્ટ્રનો છેલ્લા બે દાયકાનો વિકાસ શહેરો તરફ થયેલો હોવાથી ગામડાંઓ ભાંગવા લાગ્યા છે તેવું સ્પષ્ટ પણે દેખાવા લાગ્યું હતું. પરિણામે ખેત પેદાશોનું ઉત્પાદન અને તેની ગુણવત્તા પણ ઘટવા લાગી છે તેવા આંકડાઓ સામે આવવા લાગ્યા હતા. ગામડાંઓને મજબૂત બનાવવા હોય તો વિકાસ કરવો પડેબીજી બાજુ વસતિ સતત વધી રહી છે. એટલે એક યુવા અર્થશાસ્ત્રી તરીકે તેઓને એવું લાગ્યું કે, આવનારા સમયમાં દેશ સામે એક મોટો પ્રશ્ન ઉદ્ભવશે તે બાબત ઉપર ખૂબ જ ઉંડાણ પૂર્વક મંથન કરીને એક નવો વિચાર આવ્યો કે, જો ગામડાંઓને મજબૂત બનાવવા હોય તો ગ્રામીણક્ષેત્રમાં આંતર માળખાકીય સુવિધાઓ અને ખેતીક્ષેત્ર તથા તેની સાથે જોડાયેલા ઉદ્યોગોનો વિકાસ કરવો પડે. ગામમાં કઈ કઈ સુવિધાઓ ઊભી કરાશેકૃષ્ણગઢ ગામને શહેરોમાં હોય તેવી ગટર-ડ્રેનેજ, પીવાના પાણીની લાઈન (અંદાજે 3800 રનીંગ મીટર), આરસીસીના રસ્તા (આશરે ત્રણ લાખ ચોરસ ફુટ), સ્ટ્રીટ લાઈટના પોલ (આશરે 350), આધુનિક સુવિધાઓ સાથેનું પ્રાથમિક શાળાનું નવુ ભવન, સામાજિક કાર્યક્રમો માટેનું બિલ્ડીંગ (પટેલ વાડી), ખોડિયાર માતાજીના નવા મંદિરનું નવ નિમાર્ણ, આખા ગામમાં સીસીટીવી કેમેરા, પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન સેન્ટર, સરદાર પટેલ તથા જેમણે આ ગામની રચના કરી છે તેવા પ્રજાપ્રિય મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નામથી ગામની બે દિશામાં પ્રવેશદ્વાર, નવુ ગ્રામ પંચાયત ભવન તથા જરૂરી સુવિધાઓ સાથેનું અંતિત્રધામ તૈયાર કરવામાં આવનાર છે. ગામની આંતર માળખાકીય સુવિધાઓનો ભૂમિપૂજન સમારોહઆજે રાજ્યપાલના હસ્તે કૃષ્ણગઢ ગામની આંતર માળખાકીય સુવિધાઓનો ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો. ગામની તમામ આંતર માળખાકીય સુવિધાઓનું કામ નવેમ્બર-2028 સુધીમાં પુરી કરી દેવાનું લક્ષ્યાંક છે. નોંધનીય બાબત એ છે કે, ઉપરોક્ત તમામ સુવિધાઓ પાછળ અંદાજે 25 કરોડ જેટલી મોટી રકમનો ખર્ચ થનાર છે પરંતુ કોઇપણ જગ્યાએ પોતાનું કે પોતાના પરિવારનું નામ લખવાના નથી અને આ પૂણ્યના કાર્યમાં તેના નાના ભાઇ વિપુલભાઈ મુંજપરા, મોટાભાઈ જગદિશભાઇ મુંજપરા તથા સમગ્ર પરિવારનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 3:11 pm