વડોદરાના તાંદલજા વિસ્તારમાં વધુ એક સનસનાટીપૂર્ણ ચોકાવનારો બનાવ સામે આવ્યો છે, તાંદલજામાં દફન કરાયેલો એક પુરુષનો મૃતદેહ પાંચમાં દિવસે બહાર કાઢવામાં આવ્યો છે. મોબાઈલની તપાસ કરતા શંકા થઈ હતી. પત્નીએ પતિની હત્યા કરી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. મળતી માહિતી અનુસાર, 18 નવેમ્બરની રાત્રે 15થી 1 વાગ્યા વચ્ચે આ ઘટના બની હતી, જેમાં ઈર્શાદને પહેલા ઊંઘની ગોળીઓ આપીને બેહોશ કરવામાં આવ્યો હતો અને પછીગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી હોવાનો પરિવારનો આરોપ છે. જોકે, પરિવારજનોએ આકસ્મિક મોત થયું હોવાનું માનીને 19 નવેમ્બરના રોજ ઇર્શાદની દફનવિધિ પણ કરી દીધી હતી. મૃતકના પરિવારે આક્ષેપ કર્યો છે કે 32 વર્ષીય ઈર્શાદ વણઝારાની હત્યા તેની પત્ની ગુલબાનુએ મુંબઈ સ્થિત પોતાના મિત્ર તોસિફ અને અન્ય એક શખ્સ સાથે મળીને ષડયંત્ર રચીને કરી હતી. દફનવિધિ બાદ મૃતકના પરિવારને શંકા જતાં તેને પત્ની ગુલબાનુના મોબાઇલ ફોનની તપાસ કરી હતી. આ તપાસમાં તેમને જાણવા મળ્યું કે પત્ની ગુલબાનુએ સતત કોઈ એક જ નંબર પર લાંબા સમય સુધી ફોન કર્યા હતા, જેના કારણે તેમની શંકા વધુ ગાઢ બની હતી. આ શંકાના આધારે, હત્યાની સઘન તપાસ કરવા માટે પોલીસ અને મેજિસ્ટ્રેટની હાજરીમાં 32 વર્ષીય યુવકના મૃતદેહને કબરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. હાલમાં મૃતદેહને ગોત્રી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલાયો છે, જેની કાર્યવાહી ચાલી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને આગળની તપાસ બાદ જ આ સમગ્ર હત્યાના ષડયંત્રની હકીકત સામે આવશે.
નવસારી નજીકના કાછીયાવાડી ગામમાં ત્રણ દિવસથી દહેશત ફેલાવનાર એક દીપડો આખરે પાંજરે પુરાયો છે. આ ઘટનાથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રણ દિવસ પહેલા ગામની પાછળ આવેલા વાડી વિસ્તારમાં ગ્રામજનોએ દીપડાના આંટાફેરા જોયા હતા. દીપડાની હાજરીથી ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગના અધિકારીઓએ પરિસ્થિતિની ગંભીરતા પારખીને દીપડાને પકડવા માટે યોગ્ય સ્થળે પાંજરું ગોઠવ્યું હતું. ગત મોડી રાત્રે આશરે બે કલાકે આ દીપડો ગોઠવેલા પાંજરામાં ફસાયો હતો. દીપડો પાંજરે પુરાયાની જાણ થતાં જ વન વિભાગને ફરીથી જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને દીપડાનો કબજો લીધો હતો. દીપડાને સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ડાંગના જંગલોમાંથી દીપડાઓ શિકારની શોધમાં નવસારી જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારો તરફ આવવા માંડ્યા છે. અહીં શેરડી અને ડાંગરના ખેતરો, ચીકુ અને આંબાવાડીઓ, નદીઓ અને કોતરો તેમને રહેવા માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. આ વિસ્તારોમાં શિકાર પણ સરળતાથી મળી રહે છે, જેના કારણે દીપડાઓને ખેતરો અને વાડીઓ માફક આવી રહી છે. નવસારી જિલ્લો ખાસ કરીને તેમને માફક આવી ગયો છે. પૂર્વ પટ્ટીના ગામોમાં ઘણીવાર દીપડાઓ રસ્તાઓ, હાઇવે તેમજ ખેતરો કે ઘરની દિવાલો પર જોવા મળે છે. જંગલમાંથી ખેતરો અને વાડીઓમાં રહેતા શીખેલા આ દીપડાઓ હવે માનવવસ્તી સાથે રહેવાનું શીખી રહ્યા છે. જોકે, ગ્રામ્ય વિસ્તાર પણ હવે દીપડાઓ માટે ટૂંકો પડતા શહેરી વિસ્તાર તરફનું તેમનું સ્થળાંતર ચિંતા ઉપજાવનારું છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રવિવારે 'નશામુક્ત યુવા વિકસિત ભારત' અંતર્ગત 'રન ફોર હેલ્થ' મેરાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ દ્વારા યોજાઈ હતી. હિંમતનગર માર્કેટયાર્ડ ખાતેથી ધારાસભ્ય વી.ડી. ઝાલાએ ફ્લેગ ઓફ કરાવી દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે હિંમતનગર નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય, RSS ગાંધીનગર વિભાગ સહ કાર્યવાહ જયેશભાઈ પટેલ, વિશ્વ હિંદુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંતમંત્રી નલીનભાઈ પટેલ, APMC માર્કેટયાર્ડ ચેરમેન જયેશ પટેલ, બજરંગ ઉત્તર ગુજરાત પ્રાંત સંયોજક ભાવિનભાઈ પુરોહિત, વિશ્વ હિંદુ પરિષદ વિભાગ મંત્રી દિપેશભાઇ પટેલ, હિંમતનગર કોચિંગ સેન્ટર એસોસિએશન ઉપપ્રમુખ પારસભાઈ મહેતા, ડૉ. કેવલ પટેલ અને જિલ્લા રમતગમત અધિકારી મહેશભાઈ ચૌધરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 'રન ફોર હેલ્થ' મેરાથોન માર્કેટયાર્ડથી શરૂ થઈ ખેડ તસિયા રોડ પર છાપરિયા ચાર રસ્તા અને મહાવીરનગર ચાર રસ્તા થઈને પરત માર્કેટયાર્ડ પહોંચી હતી. આ જાગૃતિ ફેલાવતી દોડમાં યુવાનો, દુર્ગા વાહિનીઓ, ટ્રાઈસિકલ સાથે વિકલાંગો, બ્રહ્માકુમારીઝના ભાઈઓ-બહેનો, SOG બ્રાન્ચના અધિકારીઓ અને પોલીસકર્મીઓ સહિત અનેક શહેરીજનો ઉત્સાહભેર જોડાયા હતા.
ભાવનગર જિલ્લાના બગદાણા ગામના ૫૨ વર્ષીય અતુલભાઈ ચૌહાણ ચોટીલા ચામુંડા માતાજીના દર્શન માટે 192 કિલોમીટરની અનોખી દંડવત યાત્રા પર નીકળ્યા છે. તેઓ માતાજી પ્રત્યેની નિસ્વાર્થ ભક્તિ વ્યક્ત કરવા માટે આ કઠિન યાત્રા કરી રહ્યા છે. અતુલભાઈએ 10નવેમ્બરના રોજ બગદાણા ગામથી આ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. તેમની આ યાત્રા કોઈ માનતા પૂર્ણ કરવા માટે નહીં, પરંતુ માતાજી પ્રત્યેની અડગ શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક છે. આજે તેમની યાત્રાનો ૧૩મો દિવસ હતો. આ દિવસે તેમણે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં પ્રવેશ કર્યો. ગઢાળી ગામે પહોંચતા સ્થાનિક રહેવાસી જુલીભાઈ ગોહિલ દ્વારા તેમની હોટેલમાં અતુલભાઈનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અતુલભાઈની આ તપસ્વી જેવી યાત્રા જોઈને લોકો તેમની શ્રદ્ધા અને હિંમતને બિરદાવી રહ્યા છે. રસ્તામાં આવતા દરેક ગામોમાં પણ લોકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ચોટીલા ચામુંડા માતાજી પ્રત્યેની તેમની આ અનોખી ભાવયાત્રા સૌનું ધ્યાન ખેંચી રહી છે.
તાજેતરમાં ગાંધીનગરમાં પકડાયેલા આતંકીઓ ,દિલ્હીમાં થયેલા બૉમ્બ ધડાકા સહિત રાજ્યમાં ઝડપાયેલા આતંકીઓની ઘટનાને પગલે ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ગુનેગારોનો ડેટાબેઝ અપડેટ કરવા માટે તમામ જિલ્લા પોલીસ વડાને છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્ર વિરોધી ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની વિગતવાર યાદી 100 કલાકમાં તૈયાર કરવાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. જે અન્વયે ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા ગંભીર ગુનાના 500 આરોપીઓનું વેરીફીકેશન હાથ ધરીને 100 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. 500 આરોપીઓનું વેરીફીકેશન હાથ ધરીને 100 ટકા કામગીરી પૂર્ણગાંધીનગરમાં 8મી નવેમ્બરે ત્રણ આતંકીઓ ઝડપાયા બાદ દિલ્હીમાં કાર બ્લાસ્ટ અને ફરિદાબાદમાં આતંક વિરોધી કાર્યવાહી જેવી ઘટનાઓ સામે આવી હતી. આથી, ગુજરાતમાં આ પ્રકારની પ્રવૃત્તિને મૂળમાંથી ડામવા અને રાષ્ટ્ર વિરોધી તત્ત્વોના નેટવર્કનો ડેટાબેઝ અપડેટ કરવાના ઉદ્દેશ્યથી રાજ્ય પોલીસ વડાએ તમામ શહેર અને જિલ્લા પોલીસ વડાઓને તાત્કાલિક અસરથી એલર્ટ કરીને એક મોટા ડોઝીઅર તૈયાર કરવા માટે 100 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. જેમાં હથિયાર ધારા, NDPS, વિસ્ફોટક સામગ્રી, બનાવટી નોટો, ટાડા, પોટા, UAPA અને MCOCA જેવા ગંભીર ગુનાઓ સાથે સંકળાયેલા આરોપીઓનો લેટેસ્ટ ડેઝા બેઝ રેડી કરવા ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. '100 કલાક'ના અલ્ટિમેટમની અસર, સંપૂર્ણ ડોઝીઅર તૈયારજે અન્વયે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના સુપરવિઝન હેઠળ તાબાના થાણા અધિકારીઓએ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સાથે સંકલન સાધીને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને 100 ટકા કામગીરી પૂર્ણ કરી દીધી છે. છેલ્લા 30 વર્ષમાં જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓના ગુનામાં પકડાયેલા આરોપીઓની વિગતોનું ચેકિંગ અને વેરિફિકેશન કરીને સંપૂર્ણ ડોઝીઅર તૈયાર કરી દેવાઇ છે. 500 જેટલા ગુનેગારોની યાદી તૈયારજિલ્લા પોલીસે જુદા જુદા પોલીસ મથકોની હદ વિસ્તારમાંથી કુલ 500 જેટલા ગુનેગારોની યાદી તૈયાર કરી તેમની અત્યારની પ્રવૃત્તિઓનું વેરિફિકેશન કર્યું છે.પોલીસ ટીમો દ્વારા આ તમામ આરોપીઓના હાલના સરનામાં, નોકરી-ધંધા, પરિવારના સભ્યો, બેંક ડિટેઇલ, સોશિયલ મીડિયા એકાઉન્ટ સહિતની તમામ બાબતોનું રૂબરૂ જઈને વેરિફિકેશન કરી લેવામાં આવ્યું છે. ડોઝિયરમાં આ વિગતો આરોપી પાસેથી લેવાઈઆ અંગે જિલ્લા પોલીસના વિશ્વસનીય સુત્રોએ જણાવ્યું કે, ડોઝિયરની SOP મુજબ,આરોપી હાલમાં કેવો દેખાય છે (લેટેસ્ટ ફોટો અને શારીરિક ડીટેઈલ), તેની પાસે કેટલી અને ક્યાં–ક્યાં પ્રોપર્ટી છે, આરોપી ક્યાં રહે છે અને હાલમાં ક્યાં–ક્યાં અવરજવર કરે છે, કોની સાથે મળે છે અને કોના સંપર્કમાં રહે છે, ભૂતકાળના તમામ ગુનાઓની યાદી તેમજ આરોપીની ગેંગ લિંક્સની માહિતી એકત્ર કરવામાં આવી છે. રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સંડોવાયેલા આરોપીઓની તપાસરાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સબબ જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા જેમ કે,NDPS ના 150 ગુનેગારો, આર્મ્સ એક્ટના 225 ગુનેગારો, પાસાના 10 ગુનેગારો, પોટા MCOCA ના 10 ગુનેગારોનો લેટેસ્ટ ડેટાબેઝ તૈયાર કરી દેવાયો છે. એજ રીતે આવા અન્ય 100 ગુનેગારો પરપ્રાંતીયો હોવાથી જેતે રાજ્યને SOP ગાઇડલાઇન મુજબ જરૂરી આધાર પુરાવા સાથે યાદી મોકલી દેવામાં આવી છે. મહત્વનું છેકે આ ડેટાબેઝ થકી લોકલ પોલીસની ટીમ તેમના વિસ્તારમાં રહેતા આવા ગંભીર ગુનાના કે દેશવિરોધી પ્રવૃત્તિમાં જોડાયેલા આરોપીઓ ઉપર મેન્ટોર પ્રોજેક્ટ હેઠળ ખાસ બાઝ નજર રાખશે.
વાહનોમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાના બનાવો અવારનવાર બનતા હોય છે. આવો જ એક બનાવ સુરતના વેસુ વિસ્તારમાં મોડી રાત્રે બન્યો હતો, જ્યાં એક મહિન્દ્રા થાર ગાડીમાં અચાનક આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ હતી. કારમાં આગ લાગી ત્યારે બે યુવક સવાર હતા. જે સમયસુચકતા વાપરીને બહાર નીકળી જતા બચાવ થયો હતો. સુરતના વેસુ વિસ્તારમાં મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. એક મહિન્દ્રા થાર ગાડી જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહી હતી, તે દરમિયાન અચાનક તેમાં આગ લાગી ગઈ હતી. ગાડીમાં તે સમયે બે વ્યક્તિઓ સવાર હતા. આગ લાગવાની જાણ થતાં જ ગાડીમાં સવાર બંને વ્યક્તિઓ તાત્કાલિક બહાર નીકળી ગયા હતા, જેના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ થતાં ટળી ગઈ હતી. જોકે, આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં ગાડીના આગળના ભાગ (બોનેટ)ને સંપૂર્ણપણે લપેટમાં લઈ લીધી હતી. ગણતરીની મિનિટોમાં જ આગ કાબૂમાં લેવાઈવાહન સળગતું જોઈને આસપાસના સ્થાનિકોનું મોટું ટોળું ઘટનાસ્થળે એકઠું થઈ ગયું હતું. લોકોમાં ભય સાથે કુતૂહલ જોવા મળ્યું હતું. બનાવની જાણ થતાં જ વેસુ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ કોઈપણ વિલંબ કર્યા વિના પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. તેમની ત્વરિત અને અસરકારક કામગીરીને કારણે ગણતરીની મિનિટોમાં જ આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો. બોનેટ અને એન્જિનનો ભાગ સંપૂર્ણપણે બળીને ખાખઆ દુર્ઘટનામાં ગાડીનું બોનેટ અને એન્જિનનો ભાગ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો. જોકે, અન્ય કોઈ નુકસાન કે જાનહાનિ થઈ ન હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વાહનોમાં ઇલેક્ટ્રિકલ વાયરિંગમાં ખામી કે ઓવરલોડના કારણે શોર્ટ સર્કિટ થતાં આગ લાગવાના બનાવો સામાન્ય રીતે જોવા મળે છે. સમગ્ર ઘટનાએ વેસુ વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક અને ઉત્તેજનાનો માહોલ સર્જ્યો હતો.
હિંમતનગરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા શાંતિ પદયાત્રા યોજાઈ:શાંતિ સરોવરથી શરૂ થઈ, વિવિધ વિસ્તારોમાં ફરી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા આજે સવારે શાંતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બેરણા રોડ પર આવેલા બ્રહ્માકુમારીઝ શાંતિ સરોવર ખાતેથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો અને વિસ્તારના માર્ગો પર ફરીને શાંતિ સરોવર ખાતે જ તેનું સમાપન થયું હતું. આ પદયાત્રા બ્રહ્માકુમારીઝ ગુજરાતના ડાયમંડ જ્યુબિલી વર્ષ 2025 હિરક જયંતિ મહોત્સવ અંતર્ગત શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહના ભાગરૂપે યોજાઈ હતી. વિશ્વમાં શાંતિમય સંસારના નિર્માણના હેતુથી રવિવારે સમગ્ર રાજ્યમાં શાંતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હિંમતનગર બ્રહ્માકુમારીઝ સેવાકેન્દ્ર-સબઝોનના ઇન્ચાર્જ રાજયોગિની બીકે જ્યોતિદીદીના નેતૃત્વ હેઠળ આ પદયાત્રામાં 12 જુદા જુદા સેન્ટર અને લગભગ 150 બ્રહ્માકુમારીઝ પાઠશાળાઓના શ્વેત વસ્ત્રધારી રાજયોગી ભાઈ-બહેનો એક જ દિવસે અને એક જ સમયે મૌનના મંત્ર સાથે શાંતિદૂત બનીને જોડાયા હતા. આ યાત્રા વ્યસનમુક્તિ અને શાંતિદાનના સંકલ્પ સાથે નવનિર્મિત બ્રહ્માકુમારીઝ શાંતિ સરોવરથી પ્રસ્થાન કરીને યશસ્વી બંગલોઝ, વિરાટનગર, દેવભૂમિ સોસાયટીઓ થઈને બલવંતપુરાકંપા વિસ્તારમાં ફરીને શાંતિ સરોવર ખાતે પૂર્ણ થઈ હતી. આ શાંતિ પદયાત્રાને સાબરકાંઠા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા વડા મિત્તેશભાઈ સુથાર, વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી હિતેશભાઈ પટેલ અને નલિનભાઈ પટેલ, તેમજ બજરંગ દળના રાજ કનોજીયા અને અન્ય જિલ્લા કક્ષાના હોદ્દેદારોએ ઉપસ્થિત રહીને પ્રસ્થાન કરાવ્યું હતું.
રાજકોટ કામદાર યુનિયન દ્વારા મહાનગરપાલિકામાં પ્રવર્તતી કોન્ટ્રાક્ટ પ્રથામાં થતા વ્યાપક કૌભાંડો અને ગેરરીતિઓ સામે હવે સફાઈ સાથે વિરોધ પ્રદર્શનનું અનોખું આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. વોર્ડ નં. 6B, માંડા ડુંગર વિસ્તારથી શરૂ થયેલા આ આંદોલનમાં યુનિયનના તમામ આગેવાનો અને સમર્પિત કામદારોએ રસ્તા ઉપર ઉતરીને પોતાના હક માટે અવાજ ઉઠાવ્યો હતો. આ કામદારોએ 'જય ભીમ'નો ખેસ પહેરીને સફાઈ કરી હતી. અને કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરી જીવનાં જોખમે કામ કરતા સફાઈ કામદારોને કાયમી કરવા માંગ કરી હતી યુનિયનના પ્રમુખ પારસ બેડિયા અને આગેવાન ટીમે માત્ર નારા લગાવવાની પરંપરાગત રીતને બદલે એક પાયાનું કાર્ય કરીને પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો. આ દરમિયાન તેમણે વોર્ડ નં. 6/Bના માંડા ડુંગર વિસ્તારમાં પોતે જમીન પર ઉતરીને સફાઈ કામ કર્યું હતું. આ ક્રિયા દ્વારા તેમણે સામાન્ય નાગરિકો સમક્ષ કડવી વાસ્તવિકતા મૂકી કે રોજના સફાઈ કામદારો કઈ રીતે ન્યૂનતમ સન્માન અને અધિકારો વિના પણ આકરી મહેનત કરીને શહેરને સ્વચ્છ રાખે છે. આ પ્રદર્શનનો ઉદ્દેશ તેમની રોજીંદી વેદના અને જીવનની મુશ્કેલીઓ લોકોને સ્પષ્ટ રીતે દર્શાવવાનો હતો. પ્રમુખ પારસ બેડિયાએ સફાઈ અનુભવ અંગે પોતાના લાગણીસભર વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું કે માત્ર 10 મિનિટ સફાઈનું કામ કરવાથી જ તેમની કમર દુખવા લાગી હતી, ત્યારે તેમણે પ્રશ્ન કર્યો કે જે કામદારો રોજના 2 થી 3 કલાક કે તેથી વધુ સમય સુધી આ જ કામ કરે છે, તેમની શારીરિક અને માનસિક સ્થિતિ કેવી હશે? આ કામ માત્ર 'નાટક' નથી, પરંતુ કામદારોની અવાજ વગરની વેદનાને સમાજ અને વહીવટી તંત્ર સુધી પહોંચાડવાનું એક માધ્યમ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સફાઈ કામદારો ગંદકીના વાતાવરણમાં કામ કરીને શ્વાસના ગંભીર રોગોનો ભોગ બને છે. તેઓ પોતાના જીવના જોખમે દેશના નાગરિકોને અંદરના રોગોથી બચાવે છે, છતાં તેમની મહેનતનું યોગ્ય વળતર તેમને આપવામાં આવતું નથી. એક જ કામ માટે કોઈ કામદારને રૂ. 6,000નો નજીવો પગાર ચૂકવવામાં આવે અને તે જગ્યાએ અન્ય કોઈને રૂ. 50,000 જેટલો ઊંચો પગાર મળતો હોય, તે મોટો અન્યાય છે અને આ કોન્ટ્રાક્ટ પ્રથાની ખામી છે. આ પગારનો મોટો તફાવત કામદારોનું શોષણ અને ગેરરીતિઓ તરફ ઈશારો કરે છે. યુનિયનના પ્રમુખે રાજકોટ મહાપાલિકા અને ગુજરાત સરકાર સમક્ષ એક સ્પષ્ટ અપેક્ષા વ્યક્ત કરતા જણાવ્યું કે કોન્ટ્રાક્ટ પ્રથાના દૂષણને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે અને સફાઈ કામદારોને તેમનો સાચો અને સંપૂર્ણ ન્યાય મળી રહે તે માટે, કોન્ટ્રાક્ટમાં કામ કરતા તમામ સફાઈ કામદારોને તેમની જ જગ્યાએ કાયમી ધોરણે નિમણૂક આપવામાં આવે તે અનિવાર્ય છે. કાયમી નિમણૂકથી જ તેમનું શોષણ અટકશે, તેમને સામાજિક સુરક્ષા મળશે અને તેઓ ગૌરવ સાથે પોતાનું જીવન જીવી શકશે. ઉલ્લેખનીય છે કે, વોર્ડ 6/Bથી શરૂ થયેલું આ 'સફાઈ સાથે વિરોધ'નું અભિયાન હવે રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં ફેલાવવામાં આવશે. યુનિયન દ્વારા ઝુંબેશને શહેરભરમાં એક મુખ્ય સૂત્ર હેઠળ લઈ જવામાં આવશે. આ સૂત્ર છે કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરો — કામદારોને ન્યાય અપાવો. યુનિયનનો નિર્ધાર છે કે જ્યાં સુધી કામદારોને કાયમી નિમણૂક અને યોગ્ય પગારનો ન્યાય નહીં મળે, ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. ત્યારે આ આંદોલન બાદ તંત્ર દ્વારા સફાઈ કામદારો અંગે ક્યારે અને શું નિર્ણય લેવાય છે તે જોવું રહ્યું.
મોરબી શહેરમાં લુટેરી દુલ્હન દ્વારા છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. એક યુવકના લગ્ન કરાવ્યા બાદ અમદાવાદની યુવતી લગ્નના ત્રીજા જ દિવસે ફરાર થઈ ગઈ હતી. આ ઘટનામાં યુવકના પિતા પાસેથી લગ્નના નામે ત્રણ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. ભોગ બનેલા યુવકના પિતાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પ્રભુ કૃપા રેસીડેન્સી, રોયલ પાર્ક, મહેન્દ્રનગર ગ્રામ, મોરબી ખાતે રહેતા 55 વર્ષીય સુંદરજીભાઈ દેવજીભાઈ જસાપરાએ આ અંગે રાજુભાઈ તન્ના અને ચાંદની (બંને રહે. અમદાવાદ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સુંદરજીભાઈ તેમના પુત્ર રાહુલના લગ્ન કરાવવા માંગતા હતા, તે દરમિયાન તેમનો સંપર્ક અમદાવાદના રાજુભાઈ તન્ના સાથે થયો હતો. રાજુભાઈ તન્નાએ ચાંદની નામની યુવતી સાથે રાહુલના લગ્ન અમદાવાદ ખાતે રજિસ્ટ્રાર કચેરીમાં કરાવ્યા હતા. આ લગ્ન પેટે સુંદરજીભાઈ પાસેથી ત્રણ લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. લગ્ન બાદ ચાંદની માત્ર ત્રણ દિવસ સુધી સુંદરજીભાઈના ઘરે તેમના પુત્ર રાહુલ સાથે રોકાઈ હતી. ત્યારબાદ, તેણે પોતાના પિતાનું અવસાન થયું હોવાનું બહાનું કાઢીને ઘર છોડી દીધું હતું અને ત્યારથી તે પરત આવી નથી. આમ, પુત્રના લગ્ન કરાવી દેવાનું કહીને વૃદ્ધ સુંદરજીભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હતી. સુંદરજીભાઈની ફરિયાદના આધારે મોરબી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે. આ કેસની વધુ તપાસ પી.એસ.આઇ. બી.એ. ગઢવી ચલાવી રહ્યા છે.
રાજકોટના ભગવતીપરા વિસ્તારમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. હત્યાની જાણ થતાં બી-ડિવિઝન પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યાં છીએ...
ઇરાનમાં ગુજરાતીઓનું કિડનેપિંગ થયાની ઘટના હજુ તાજી છે ત્યાં જ જાકાર્તા ફરવા ગયેલા ત્રણ ગુજરાતીઓ ફસાયા હોવાનો મામલો સામે આવ્યો છે. શુક્રવારથી આ ત્રણેયને એક હોટલમાં ગોંધી રખાયા છે અને છોડવા માટે પરિવાર પાસે 18 લાખ રૂપિયાની ખંડણી માંગી છે. આ ત્રણેય અમદાવાદના છે અને મંગળવારે ફરવા માટે ગયા હતા. અમદાવાદના નિસર્ગ (નામ બદલેલું છે) નામના યુવાનના તાજેતરમાં જ લગ્ન થયા હતા. તે પત્નીને લઇ હનીમૂન માટે જાકાર્તા અને બાલી જવાનો હતો. આ દરમિયાન તેની સાથે બીજો એક યુવાન સૌમિલ (નામ બદલેલું છે) પણ જોડાયો હતો. જાકાર્તા જતાં પહેલાં સૌમિલના મોટાભાઇએ પ્રવીણ શર્મા નામના એક એજન્ટનો કોન્ટેક્ટ નંબર આપ્યો હતો અને હોટલ બુકિંગ માટે તેમને મળવાનું કહ્યું હતું. એજન્ટે હોટલની વ્યવસ્થા કરી આપી18મી તારીખે ત્રણેય જાકાર્તા એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાં 35 ડોલર આપીને વિઝા ઓન અરાઇવલ લીધા હતા. એરપોર્ટથી જ આ લોકોએ પ્રવીણ શર્માને ફોન કર્યો હતો. જેથી પ્રવીણે તેમને હોટલની વિગતો મોકલી હતી. બાદમાં ત્રણેય ટેક્સી કરીને હોટલ પહોંચ્યા હતા. હોટલમાં ત્રણેયને રહેવા માટે એક જ રૂમ અપાયો હતો. હોટલમાં વાઇફાઇ સહિતની સુવિધા સારી ન હોવાથી તેમણે બુધવારે પ્રવીણને હોટલ બદલવા માટે કહ્યું હતું. જેથી પ્રવીણે તેમને અન્ય રૂમમાં જવાનું કહ્યું હતું પરંતુ હોટલવાળાએ બીજો રૂમ આપ્યો નહોતો. એજન્ટે ઓસ્ટ્રેલિયાના નકલી વિઝા મોકલ્યાગુરૂવારે પ્રવીણ શર્મા અને આ ત્રણેય ગુજરાતીઓની મુલાકાત થઇ હતી. જેમાં પ્રવીણે તેમને ઓસ્ટ્રેલિયા મોકલવાની ઓફર કરી હતી પરંતુ ત્રણેયે ઇન્કાર કરી દીધો હતો. તેમ છતાં પ્રવીણે ઓસ્ટ્રેલિયાના નકલી વિઝા બનાવી વોટ્સએપમાં મોકલી દીધા હતા. આ દરમિયાન શુક્રવારે બપોરે 12 વાગ્યે તેમની હોટલમાં એક અજાણ્યો શખસ આવ્યો હતો અને પોતાની ઓળખ ઇમિગ્રેશન ઓફિસર તરીકે આપી હતી અને ત્રણેયના પાસપોર્ટ માંગ્યા હતા. જેથી નિસર્ગ અને તેની પત્નીએ પાસપોર્ટ આપી દીધો હતો પણ સૌમિલે એ શખસને સામે પૂછ્યું હતું કે તમારે પાસપોર્ટનું શું કામ છે.આના પછી તેમની વચ્ચે બોલાચાલી થઇ હતી અને પછી ઝપાઝપી પણ થઇ. જેથી સૌમિલે હોટલની સિક્યોરિટી પાસે જઇને પોલીસને ફોન કરવા દેવાનું કહ્યું હતું પણ તેને ફોન કરવા દેવાયો નહોતો. ઇમિગ્રેશન ઓફિસરે પાસપોર્ટ જપ્ત કરી લીધાજેના પછી એ શખસે નિસર્ગ અને તેની પત્નીનો પાસપોર્ટ જપ્ત કરી લીધો હતો. બાદમાં એ શખસે અન્ય લોકોને બોલાવી સૌમિલના હાથ બાંધી દીધા હતા અને ત્રણેયને જાકાર્તાની ઇમિગ્રેશન ઓફિસમાં લઇ ગયા હતા. જ્યાં નિસર્ગ અને તેની પત્નીને અલગ રાખ્યા હતા. જ્યારે સૌમિલને લોકઅપમાં રાખ્યો હતો. લોકઅપમાં સૌમિલને માર મારીને કરંટ અપાયો હતો. અહીં ત્રણેયના મોબાઇલ પણ જપ્ત કરી લેવાયા હતા. જેમાં પ્રવીણ શર્માએ મોકલેલા ઓસ્ટ્રેલિયાના નકલી વિઝા મળ્યાં હતા. જેથી આ મામલે પણ તેમની પૂછપરછ થઇ હતી અને ઓસ્ટ્રેલિયા જવા માટે જાકાર્તા આવ્યા હોવાનું કાગળ પર લખાવી તેમની સહી કરાવી લીધી હતી. સાતેક કલાક રખાયા બાદ તેમને હોટલમાં મોકલી દેવાયા હતા. હાલમાં ત્રણેયને ઇસ્ટ જાકાર્તાની એક હોટલમાં રખાયા છે અને નવી સૂચના ન મળે ત્યાં સુધી હોટલ બદલવાની મનાઇ કરી છે. 18 લાખ રૂપિયાની ખંડણી માગીસૌમિલે જ્યારે આ અંગે પોતાના ભાઇને વાત કરી ત્યારે ખબર પડી કે હકીકતમાં પ્રવીણ શર્મા વોન્ટેડ છે. તેમની સાથે જાકાર્તામાં જે-જે ઘટના બની છે તેની પાછળ પ્રવીણ શર્માનો જ હાથ છે. સૂત્રોનું માનીએ તો પ્રવીણ શર્મા અને તેના મળતિયાઓએ નિસર્ગ, તેની પત્ની અને સૌમિલને છોડવા માટે તેમના પરિવાર પાસેથી 18 લાખ રૂપિયા માંગ્યા છે. આ સમગ્ર મામલો હવે જાકાર્તાના ભારતીય દૂતાવાસમાં પહોંચ્યો છે. સૌમિલના ભાઇએ શુક્રવારે ભારતીય દૂતાવાસને ઇમેલ કરી ઘટનાની જાણ કરી છે. ભારતીય દૂતાવાસને કરેલો ઇમેલમારો ભાઇ અને તેના મિત્રો મંગળવારે પ્રવીણ શર્મા નામના એજન્ટ દ્વારા જાકાર્તા પહોંચ્યા હતા. તેઓ એક હોટલમાં રોકાયા હતા પરંતુ આજે એજન્ટે ઇમિગ્રેશન ઓફિસરને તેમની હોટલ પર મોકલ્યા હતા. ઓફિસર તેમને ક્લાસ-1 ઇમિગ્રેશન ઓફિસ, ઉત્તર જાકાર્તા ખાતે લઇ ગયા હતા. હોટલ છોડતા પહેલા મારા ભાઇએ મને લાઈવ લોકેશન મોકલ્યું હતું. અમને મળી એ માહિતી અનુસાર એજન્ટે મારા ભાઇ અને તેના મિત્રોને તેમના ફોન પર નકલી ડોક્યુમેન્ટ્સ મોકલીને ફસાવ્યા છે. અમે સવારથી જ તેમને કોલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ વાત નથી કરી શક્યા. મહેરબાની કરીને અમારી મદદ કરશો.
દેશભરમાં અત્યારે SIRની કામગીરી ચાલી રહી છે, ત્યારે આંબાવાડીમાં આવેલી સહજાનંદ કોલેજમાં ભાજપના બુથ પ્રમુખ SIRની કામગીરી દરમિયાન સાથે બેઠા હતા. બુથ પ્રમુખ તેમની જગ્યાએથી ઊભા થયા ત્યારે એક વ્યક્તિ તેમની જગ્યા પર બેસી ગયા હતા. આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારે બુથ પ્રમુખે મહિલા અને તેમના પતિને ગાળો આપી જાનથી મારી દેવાની ધમકી આપી દીધી હોવાની ફરિયાદ નોંધાઈ છે. બુથ પ્રમુખે પણ મહિલા અને તેમના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સેટેલાઈટ પોલીસે બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. ભાજપ પ્રમુખે ફરિયાદીના પતિને પાછળથી ઝાપટ મારીઆંબાવાડીમાં રહેતા ધારિણીબેન શાહે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ તેમના પતિ સાથે સહજાનંદ કોલેજમાં ઇલેક્શનનું ફોર્મ ભરવા માટે ગયા હતા. આ દરમિયાન BLO મનોજભાઈ બેઠા હતા અને મનોજભાઈની સાથે શ્રીરામ મોદી પણ બેઠા હતા. શ્રીરામ મોદી તેમની જગ્યા પરથી ઉભા થયા ત્યારે તેમની જગ્યા પર ધારીનીબેનના પતિ મનીષભાઈ બેસી ગયા હતા. મનીષભાઈ બેઠા ત્યારે શ્રીરામ મોદીએ તમને પાછળથી ઝાપટ મારી દીધી હતી જેથી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. 'મારા ભાઈ-ભાભી વકીલ છે તો મારું કંઈ બગાડી નહીં શકે'આ દરમિયાન શ્રી રામ મોદીએ ગાળો આપી હતી, જેથી ધારીનીબેને કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો. ત્યારે શ્રીરામ મોદીએ કહ્યું હતું કે, તારે જે કરવું હોય તે કર પોલીસ મારું કાંઈ નહીં બગાડી શકે. જો તું પોલીસ સ્ટેશન જઈશ તો હું તારા પતિને ચાર પાંચ દિવસમાં ગાડીથી મરાવી નાખીશ. મારા ભાઈ-ભાભી વકીલ છે તો મારું કંઈ બગાડી નહીં શકે. શ્રીરામ મોદીએ ધારીનીબેનને પણ એકલી મળીશ તો જાનથી મારી નાખીશ ધમકી આપી હતી. આ અંગે ધારીનીબેને સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ભાજપ પ્રમુખ ઉભા થયા તો તેમની જગ્યાએ એક વ્યક્તિ બેસી ગયોબીજી તરફ ભાજપના બુથ નંબર 15ના બુથ પ્રમુખ શ્રીરામ મોદીએ પણ સેટેલાઈટ પોલીસે ફરિયાદ નોંધાવી છે કે, તેઓ સહજાનંદ કોલેજમાં ઇલેક્શનની કામગીરીમાં મદદરૂપ થવા માટે બેઠા હતા અને તેમની ખુરશી પરથી ઉભા થયા ત્યારે તેમની જગ્યાએ મનીષાભાઈ નામનો વ્યક્તિ બેસી ગયો હતો. મનીષભાઈને ઉભા થવાનું કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન મનીષભાઈના પત્ની ધારીનીબેને શ્રીરામ મોદીને છુટ્ટું ચપ્પલ માર્યું હતું. ભાજપ પ્રમુખને હાથ-પગ તોડાવી છેડતીના કેસમાં ફસાવાની ધમકી આપીશ્રીરામ મોદી જ્યાં બેઠા હતા ત્યાં ધારીનીબેન અને તેના પતિ એક્ટિવા લઈને પહોંચ્યા અને ગાળો આપી હતી અને કહ્યું હતું કે, તું મને ઓળખો નથી તારા હાથ પગ તોડાવી નાખીશ અને ક્યાંય ખોવાઈ જઈશ. ધારીનીબેને શ્રીરામ મોદીને ધમકી આપી હતી કે, છેડતીના ખોટા કેસમાં ફસાવી જેલ ભેગો કરાવી દઈશ. જેથી શ્રીરામ મોદીએ ધારિની શાહ અને તેમના પતિ મનીષ શાહ વિરુદ્ધ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત્ જોવા મળી રહ્યો છે. શહેરના સચિન વિસ્તારમાં એક અત્યંત કરુણ અને ગંભીર બનાવ સામે આવ્યો છે, જ્યાં 5 વર્ષના એક માસૂમ બાળક પર 4થી 5 જેટલાં શ્વાનોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. માથા સહિત શરીર પર 20થી વધુ ઈજાના નિશાનો છે. હાલ બાળકની હાલત ગંભીર છે. શ્વાનના ટોળાએ 5 વર્ષીય બાળક પર જીવલેણ હુમલો કર્યોમળતી માહિતી અનુસાર, સચિન વિસ્તારમાં 5 વર્ષીય બાળક શીવાય રાજેશ પ્રજાપતિ પરિવાર સાથે રહે છે. આજે શિવાય તેના પિતા રાજેશ પ્રજાપતિ સાથે સચિન વિસ્તારમાં આવેલા ઈકો ડાયમંડ પાર્ક પાસે આવેલી કંપની નજીક ગયો હતો. કંપનીની બહારના ભાગમાં જ અચાનક 4 કે તેથી વધુ શ્વાનોના ટોળાએ આ બાળક પર હુમલો કરી દીધો હતો. માથું ગંભીર રીતે ફાડી નાખ્યું, 20થી વધુ ગંભીર ઇજાઓશ્વાનોએ બાળકને ફાડી ખાવાનો પ્રયાસ કર્યો અને તેનું આખું માથું ગંભીર રીતે ફાડી નાખ્યું હતું. બાળકના શરીરના અન્ય ભાગો પર પણ શ્વાનોએ બચકાં ભર્યા હતા, જેના કારણે તેને 20થી વધુ ગંભીર ઇજાઓ પહોંચી છે. બાળક પર હુમલો થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહામહેનતે શ્વાનોની ચુંગાલમાંથી બાળકને છોડાવ્યો હતો. બાળકની હાલત અત્યંત ગંભીરલોહીલુહાણ હાલતમાં સિવાયને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તબીબોના જણાવ્યા મુજબ, બાળકનું માથું ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હોવાથી તેની હાલત અત્યંત ગંભીર છે. આ બનાવને પગલે પરિવારમાં શોક અને માતમનો માહોલ છવાયો છે. શહેરમાં રખડતા શ્વાનોના હુમલાના બનાવો સતત વધી રહ્યા છે, અનેક માસૂમ બાળકો શ્વાનનો શિકાર બની ચૂક્યા છે. આ ગંભીર બનાવ બાદ ફરી એકવાર સુરત મહાનગરપાલિકાની શ્વાન નિયંત્રણની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિકોએ માગ કરી છે કે તંત્ર દ્વારા રખડતા શ્વાનોના ત્રાસને ડામવા માટે નક્કર અને કડક પગલાં લેવામાં આવે. અમે સમાચાર સતત અપડેટ કરી રહ્યા છીએ...... અમદાવાદમાં રખડતા શ્વાનનો આતંક, CCTV:PGમાં રહેતો યુવક એક્ટિવા પાર્ક કરતો તો ને બચકુ ભર્યું, એક જ દિવસમાં 8 લોકોને કરડ્યુંઅમદાવાદના પાલડી વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. મંગળવારે (18 નવેમ્બર) એક જ શ્વાને હીરાબાગ ક્રોસિંગ પાસે અને શારદા મંદિર રોડ પર 5થી વધુ વ્યક્તિઓને કરડી નાખ્યા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. આમાંથી એક ઘટના PGમાં રહેતા યુવક પર થયેલા હુમલાની CCTV ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.(વાંચો સંપૂર્ણ સમાચાર) 4 માસની બાળકીને ફાડી ખાનારા શ્વાનના માલિકની ધરપકડ:યુવતી ફોનમાં વાતોમાં હતી ને હાથમાંથી છટકેલા શ્વાને કાળો કેર વર્તાવ્યો અમદાવાદ શહેરના હાથીજણ સર્કલ પાસે આવેલી રાધે રેસિડેન્સીમાં એક પાલતું રોટવીલર શ્વાને 4 મહિનાની બાળકી અને તેની સાથે રહેલા તેના માસી પર હુમલો કરી દેતા બાળકીનું મોત નિપજ્યું હતું, જ્યારે માસીને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. (વાંચો સંપૂર્ણ સમાચાર) જર્મન શેફર્ડ ડોગનો બે બાળક પર હુમલો, CCTV:અમદાવાદમાં પાર્કિંગમાંથી મહિલા કૂતરાને લઈને જતા સમયે બાળક પાછળ દોડ્યોઅમદાવાદના ન્યૂ મણિનગર વિસ્તારમાં ડૂન રિવેરા સ્કૂલ પાસે આવેલા શરણમ એલિગન્સમાં પાલતું કૂતરા જર્મન શેફર્ડે બે બાળક પર હુમલો કર્યો હતો. મહિલા કૂતરાને લઈને બ્લોકના પાર્કિંગમાંથી જતી હતી ત્યારે બાળક કૂતરાને જોઈને ભાગ્યાં હતાં. બાળકોને ભાગતાં જોઈને લકી નામના કૂતરાએ તેની પાછળ દોટ મૂકી હતી.. (વાંચો સંપૂર્ણ સમાચાર)
કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડું સ્થળ રહ્યું છે. આજે અહીં લઘુત્તમ તાપમાન 10.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. છેલ્લા એક સપ્તાહથી તાપમાન 10 ડિગ્રીથી ઉપરના સ્તરે જળવાઈ રહ્યું છે. નલિયામાં લોકો સાંજથી વહેલી સવાર સુધી સતત ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે તાપમાન હજુ એકલ આંક (સિંગલ ડિજિટ) સુધી પહોંચ્યું નથી. જિલ્લા મથક ભુજ શહેરમાં લઘુત્તમ તાપમાનમાં સામાન્ય વધારો નોંધાયો છે. ભુજનું ન્યૂનતમ તાપમાન 16.4 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે, જેના કારણે ઠંડીમાં ઘટાડો થયો છે. બપોરના સમયે ગરમીનો અનુભવ થાય છે. કચ્છમાં આ વિષમ હવામાનને કારણે સીઝનલ બીમારીઓમાં વધારો જોવા મળ્યો છે. સરહદી કચ્છ જિલ્લામાં શિયાળો હજુ સંપૂર્ણપણે જામ્યો નથી. લોકો ગરમ વસ્ત્રો પહેરવા કે નહીં તે અંગે અવઢવમાં છે. ભુજ શહેરની બજારમાં ગરમ વસ્ત્રોની હંગામી દુકાનોમાં હજી સુધી ગ્રાહકોની ખરીદી જામી શકી નથી. કંડલામાં તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
5 વર્ષમાં સાયબર ક્રાઈમ 30% વધ્યો: 9 મહિનામાં રૂ.1011 કરોડ સ્વાહા, ગુજરાતીઓ સૌથી વધુ છેતરાયા
Cyber crime in Gujarat: ગુજરાતમાં સાયબર ક્રાઈમ અટકાવવા માટેના પોલીસ અને સરકારના સામુહિક પ્રયાસો અને જનજાગૃતિ અભિયાનો છતાં સાયબર ગઠિયાઓ પોલીસ કરતાં એક ડગલું આગળ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં સાયબર ક્રાઈમના બનાવોમાં ચિંતાજનક 30 ટકાનો વધારો નોંધાયો છે. વર્ષ 2025ના સપ્ટેમ્બર મહિના સુધીમાં જ (પ્રથમ 9 મહિનામાં) સાયબર અપરાધીઓએ ગુજરાતીઓના રૂ.1,011 કરોડ ચાઉં કરી લીધા છે, જે રાજ્યની સુરક્ષા વ્યવસ્થા માટે લાલબત્તી સમાન છે. આંકડાકીય માહિતી અનુસાર, સૌથી વધુ ઠગાઈ રોકાણમાં ઊંચા વળતરની લાલચ આપીને કરવામાં આવી છે. માત્ર રોકાણના બહાને જ 9,240 લોકો સાથે છેતરપિંડી આચરીને કુલ રૂ.
વડોદરા નજીક આવેલા ઇટોલા ગામમાં 10 ફૂટ લાંબો મહાકાય અજગર ઘુસી આવ્યો હતો. જેને પગલે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે મગરને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યો હતો અને વન વિભાગને સોંપ્યો હતો. 10 ફૂટ લાંબો મહાકાય અજગર ઈટોલા ગામમાં ઘૂસ્યોવડોદરા જિલ્લાના ઈટોલા ગામે શનિવારે મોડી રાત્રે લગભગ 10.30 વાગ્યે ગામના ફળિયા પાસે કોતરમાંથી નીકળી આવેલો આશરે 10 ફૂટ લાંબો મહાકાય અજગર સ્થાનિક લોકોમાં દહેશત ફેલાવી દીધી હતી. આ ઘટનાની જાણ ગામના સરપંચ ગણપતભાઈએ તાત્કાલિક વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારને ફોન કરીને કરી હતી. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે અજગરને રેસક્યૂ કર્યોઅજગર ગામમાં ઘૂસી આવ્યો હોવાની સૂચના મળતાં જ ટ્રસ્ટની ટીમના સભ્યો હાર્દિક પવાર, ઈશ્વર ચાવડા તથા પ્રવીણ પરમારે તુરત જ સ્થળ પર પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. લગભગ એક કલાકની સઘન મશક્કત અને કુશળતા પછી ટીમે અજગરને સલામત રીતે રેસ્ક્યુ કર્યો હતો અને તેને વડોદરા વન વિભાગના અધિકારીઓને સોંપી દીધો હતો. અજગરને વન વિભાગનો સોંપ્યોવાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવાર અને સભ્ય હાર્દિક પવારે જણાવ્યું હતું કે, આવા મહાકાય અજગરનું રેસ્ક્યૂ જોખમી હોય છે, પરંતુ અમારી ટીમે સ્થાનિક લોકોના સહકારથી તેને સલામત રીતે બચાવી લીધો છે. અજગરને હવે વન વિભાગ દ્વારા તેના કુદરતી નિવાસસ્થાનમાં છોડવામાં આવશે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે શનિવારે(22 નવેમ્બરે) સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025ની મુલાકાત લીધી હતી. અમિત શાહે બુક સ્ટોલની મુલાકાત લીધી હતી. બુક ફેસ્ટિવલમાં બાળકો માટે અલગ અલગ સ્પર્ધાઓ પણ યોજવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વિવિધ સ્પર્ધાઓમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત પણ કર્યા હતાં. વિદ્યાર્થીનીએ હાર્મોનિયમ શીખવા માટે ઇચ્છા વ્યક્ત કરી શહેરના નિકોલ વિસ્તારની સ્કૂલમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરનારી વિદ્યાર્થીનીને સન્માનિત કરી હતી. ત્યારે વિદ્યાર્થીનીએ કેન્દ્રીય ગૃહ મંત્રી સમક્ષ પોતાને હાર્મોનિયમ શીખવા માટે ઇચ્છા વ્યક્ત કરતા અમિત શાહે સાથે રહેલા ધારાસભ્ય અમિત ઠાકરને કહ્યું, વિદ્યાર્થીનીની વિગત લઇ ઓફિસ મોકલાવજો. ધારાસભ્યએ વિદ્યાર્થીનીની નામ, સરનામું અને વિગત લઈને ગૃહ મંત્રીની ઓફિસે મોકલાવી હતી. 'દિકરીની વિગત અને ઘરનું એડ્રેસ લઇને મારી ઓફિસે પહોંચાડી દેજો'22 નવેમ્બર શનિવારના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બુક ફેસ્ટિવલ દરમિયાન યોજાયેલી વિવિધ સ્પર્ધાઓના વિદ્યાર્થીઓને સન્માનિત કરી રહ્યાં હતા. જે દરમિયાન અમદાવાદની પુરૂષોત્તમનગર સ્કૂલમાં અભ્યાસ કરતી 10 વર્ષીય વિદ્યાર્થીની પ્રગતિ ચૌહાણને હાર્મોનિયમ સ્પર્ધામાં પહેલો નંબર મેળવવા બદલ સન્માનિત કરી રહ્યાં હતા. એ દરમિયાન પ્રગતિ ચૌહાણે અમિત શાહ સમક્ષ ઇચ્છા વ્યક્ત કરી કે, મારે હાર્મોનિયમ શીખવાની ઇચ્છા છે. વિદ્યાર્થીનીની વાત સાંભળતા જ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નજીક ઉભેલા વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરને કહ્યું કે, દિકરીની વિગત અને ઘરનું એડ્રેસ લઇને મારી ઓફિસે વિગત પહોંચાડી દેજો. 'કોમનવેલ્થ દેશોના ખેલાડીઓ માટે અમદાવાદ તૈયાર છે, સુસ્વાગતમ'સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાયેલા બુક ફેસ્ટિવલના સ્થળે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે હસ્તાક્ષર દીવાલ (સિગ્નેચર વોલ) પર પોતાનો વિશેષ પ્રતિભાવ લખ્યો હતો. આ પ્રતિભાવ દ્વારા તેમણે કોમનવેલ્થ દેશોના ખેલાડીઓ માટે અમદાવાદની તૈયારીઓને બિરદાવી હતી. તેમણે સિગ્નેચર વોલ પર લખ્યું હતું કે: કોમનવેલ્થ દેશોના ખેલાડીઓ માટે અમદાવાદ તૈયાર છે, સુસ્વાગતમ.(વાંચો સંપૂર્ણ અહેવાલ) અમિત શાહે બાળકો સાથે આત્મીય વાર્તાલાપ કર્યોકેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બુક ફેરના વિવિધ સ્ટોલ્સની રૂબરૂ મુલાકાત લીધી હતી અને પુસ્તકો પ્રત્યે પોતાનો વિશેષ લગાવ વ્યક્ત કર્યો હતો. તેમણે આ પ્રસંગે ઉપસ્થિત વિવિધ શાળાઓના બાળકો સાથે આત્મીય વાર્તાલાપ કર્યો હતો અને તેમને વાંચનનું મહત્વ સમજાવી પ્રોત્સાહિત કર્યા હતા.બાળકો સાથેના આ સંવાદે મહોત્સવમાં એક ઉષ્માભર્યો માહોલ સર્જ્યો હતો. ઉલ્લેખનીય છે કે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહની સાથે મંત્રી જીતુ વાઘાણી અને મંત્રી ઋષિકેશ પટેલ, અમદાવાદ શહેરના ધારાસભ્યો અને AMCના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રવિવારે એક દિવસની કચ્છની મુલાકાતે છે. તેઓ જિલ્લા મથક ભુજ અને ઔદ્યોગિક મથક ગાંધીધામ ખાતે ₹679 કરોડના વિકાસકામોની ભેટ આપશે. ભુજમાં લાલન કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ₹498 કરોડના 52 કામોનું ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત, ₹5.79 કરોડના ત્રણ કામોનું લોકાર્પણ પણ કરવામાં આવશે, જે કુલ ₹503 કરોડના વિકાસકામોનો ભાગ છે. આ વિકાસકામોમાં માર્ગ અને મકાન, જીએમડીઆરડીસી, સિંચાઈ, વન વિભાગ, પ્રવાસન અને શિક્ષણ વિભાગના વિવિધ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. ગાંધીધામમાં, મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી ₹176 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. સત્તાવાર કાર્યક્રમ અનુસાર, મુખ્યમંત્રી પટેલ સવારે કંડલા એરપોર્ટ પર ઉતરાણ કરશે. ત્યારબાદ તેઓ સરદાર વલ્લભભાઈ પટેલ ઓડિટોરિયમ ખાતે વિકાસ કામોનું ભૂમિપૂજન કરશે. ગાંધીધામના કાર્યક્રમ બાદ, બપોરે 12 થી 1 વાગ્યા દરમિયાન ભુજમાં આયોજિત લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપી તેઓ ગાંધીનગર પરત જવા રવાના થશે. મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી ત્રિકમ છાંગા, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્યો કેશુ પટેલ, માલતીબેન મહેશ્વરી, અનિરુદ્ધ દવે, વીરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રીના કચ્છ આગમનને ધ્યાનમાં રાખીને ભુજ અને ગાંધીધામ શહેરના જાહેર માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત, મુખ્ય માર્ગો પર સફાઈ અભિયાન હાથ ધરી તેમને સ્વચ્છ અને સુંદર બનાવવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો માનવતાભર્યો અને સંવેદનશીલ વલણ દર્શાવતી અનોખી ઘટના સામે આવી છે. જામનગરના પરમાર પરિવારની દીકરી સંજના પરમારના 23 નવેમ્બરનાં રોજ જામનગર શહેરના ટાઉનહોલ ખાતે લગ્ન હતા, પરંતુ લગ્નના એક દિવસ બાદ એટલે કે 24 નવેમ્બરનાં મુખ્યમંત્રીનો સરકારી કાર્યક્રમ પણ એ જ સ્થળે નિર્ધારિત હતો. જેના કારણે આસપાસ સુરક્ષા, પોલીસ બંદોબસ્ત અને માર્ગ વ્યવસ્થામાં ફેરફાર થવાને કારણે પરિવાર ચિંતામાં મુકાયો હતો. 'આપણા કાર્યક્રમનું સ્થળ બદલો, દીકરીના પરિવારની ચિંતાએ આપણી ચિંતા'પરિવારે આ બાબતે મુખ્યમંત્રી કાર્યાલય સુધી વાત પહોંચાડતા મુખ્યમંત્રીએ તાત્કાલિક પ્રતિસાદ આપ્યો અને અધિકારીઓને સૂચના આપી કે, 'આપણા કાર્યક્રમનું સ્થળ બદલો. દીકરીના પરિવારની ચિંતાએ આપણી ચિંતા'. આ નિર્ણય બાદ કાર્યક્રમ નવી જગ્યાએ પાર પાડવામાં આવ્યો અને પરમાર પરિવારનો મોટો તણાવ દૂર થયો. CMએ પરિવારને ફોન કરી ચિંતા મુક્ત કર્યાઆ દરમિયાન CMએ પરમાર પરિવારના મોભી સાથે ફોન પર વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તમારા પરિવારના મેરેજ હતા ત્યાં અમારો પ્રોગ્રામ કરવાની મેં ના પાડી છે કે ત્યાં પ્રોગ્રામ ના કરો. મેરેજ હોય એટલે તમારી તકલીફ સમજી શકું છું. એટલે તમારા સમયે તમે તમારો ફંકશન કરજો જ ન્યાં, છતાં તમને કઈ તકલીફ હોય તો આ નંબર પર ફોન કરજો. 'મુખ્યમંત્રીનો એક ફોન આવ્યો અને અમે શાંતિથી સુઈ શક્યા'લગ્નકન્યાના કાકા બ્રિજેશ પરમાર મુખ્યમંત્રી પ્રત્યે આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, 'લગ્નગાળામાં તાત્કાલિક સ્થળ બદલવું, મહેમાનોને જાણ કરવી અને નવી વ્યવસ્થા કરવી અઘરી બાબત હતી, પરંતુ મુખ્યમંત્રીનો એક ફોન આવ્યો અને અમે શાંતિથી સુઈ શક્યા.' આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માત્ર જવાબદાર પ્રશાસક નથી, પરંતુ લોકોની ભાવનાઓને સમજતા સંવેદનશીલ નેતા છે. જનતાની નાની લાગણી અને મુશ્કેલીઓ સમજીને નિર્ણય લેવી એ તેમની કાર્યશૈલીનું વિશેષ લક્ષણ બનેલું છે.
રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે તમામ મોટા શહેરોનું તાપમાન 20 ડિગ્રી કરતા નીચે નોંધાયું છે. છેલ્લા કેટલાક દિવસથી નલિયામાં સૌથી વધુ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ત્યારે ફરી એક વખત રાજ્યમાં 10.4 ડિગ્રી સાથે નલિયામાં સૌથી ઠંડુગાર શહેર બની ગયું છે. રાજકોટમાં 13.9 ડિગ્રી તો અમદાવાદમાં 15.1 ડિગ્રી હવામાન વિભાગના આંકડા પ્રમાણે રાજકોટમાં 13.9 ડિગ્રી, ડીસામાં 14.3 ડિગ્રી, અમદાવાદમાં 15.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પોરબંદરમાં 15.8 ડિગ્રી, ભુજમાં 16.4 ડિગ્રી, ગાંધીનગરમાં 16.2 ડિગ્રી, વડોદરામાં 16.6 ડિગ્રી, કંડલામાં 17 ડિગ્રી, ભાવનગરમાં 17.8 ડિગ્રી સુરતમાં 18.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઠંડીના પ્રમાણમાં વધારો થશેઠંડીનો ચમકારો વહેતા વહેલી સવાર ગાર્ડનમાં પણ લોકોની સંખ્યા વધી ગઈ છે. ઠંડીથી બચવા માટે વહેલી સવારે મોટી સંખ્યામાં લોકો ગાર્ડનમાં ચાલતા અને કસરત કરતા જોવા મળી રહ્યા હતા. જો કે આગામી સમયમાં ઠંડીના પ્રમાણમાં વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
સુરેન્દ્રનગરમાં રાજકુમાર જાટના મોત મામલે તપાસ તેજ બની છે. આ કેસમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ સહિત 13 શખ્સોને સુરેન્દ્રનગર એસપી સમક્ષ તપાસ માટે હાજર કરવામાં આવ્યા હતા. આ કેસમાં ગોંડલ, કાલાવડ અને રાજકોટમાં ત્રણ અલગ-અલગ ફરિયાદો નોંધાઈ છે, જેની તપાસ હાઈકોર્ટે સુરેન્દ્રનગર એસપી અને ધાંગધ્રાના ડીવાયએસપીને સોંપી છે. હાઈકોર્ટના આદેશ મુજબ, તમામ શંકાસ્પદ વ્યક્તિઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. તપાસ ટીમ ઘટનાક્રમની ઝીણવટભરી તપાસ કરી રહી છે. હાઈકોર્ટે 10 તારીખ સુધીમાં કેસની સંપૂર્ણ તપાસ પૂર્ણ કરીને વિગતવાર રિપોર્ટ સુપરત કરવાનો નિર્દેશ આપ્યો છે. સુરેન્દ્રનગર પોલીસ મથકે ગણેશ ગોંડલ સહિતના તમામ વ્યક્તિઓના નિવેદનો દિવસભર નોંધવામાં આવ્યા હતા. રાજકુમાર જાટના મોતનું સત્ય બહાર લાવવા પોલીસ ટેકનિકલ અને દસ્તાવેજી પુરાવાઓની પણ ચકાસણી કરી રહી છે. કેસની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પોલીસ અત્યંત સાવચેતીપૂર્વક તપાસ આગળ વધારી રહી છે. રાજકુમાર જાટના મોત કેસમાં તપાસ દરમિયાન ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ સહિત કુલ 11 શખ્સોની સંડોવણીના સંકેતો મળ્યા છે. આ ગંભીર કેસની તપાસ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને સોંપવામાં આવી છે, જેમાં ધાંગધ્રાના ડીવાયએસપી જે.ડી. પુરોહિત પણ જોડાયા છે. પોલીસે જણાવ્યું કે, ગણેશ ગોંડલ સહિત તમામ શંકાસ્પદ વ્યક્તિઓને સુરેન્દ્રનગર ખાતે પૂછપરછ માટે હાજર રહેવા જણાવાયું હતું. તેમના નિવેદનોની ઝીણવટભરી ચકાસણી અને પૂછપરછ ચાલી રહી છે. તપાસ દરમિયાન, ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાજકુમાર જાટના ગુમ થયા અંગેની ફરિયાદ અને ત્યારબાદ એનસી ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત, રાજકોટમાં તેની હત્યા અંગે અલગ ગુનો પણ નોંધાયો છે. હાઈકોર્ટે ત્રણેય કેસોની તપાસ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાને સોંપતા, પોલીસે તપાસ વધુ તેજ બનાવી છે. હાલમાં સુરેન્દ્રનગર ખાતે તમામ શંકાસ્પદ વ્યક્તિઓની ઝીણવટભરી પૂછપરછ ચાલી રહી છે. પોલીસ દ્વારા આ કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર જિલ્લાનું ધ્યાન આ હાઈપ્રોફાઈલ કેસની આગામી કાર્યવાહી પર કેન્દ્રિત થયું છે.
ગાંધીનગરની જીએમઇઆરએસ(GMERS) મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં ફરી એકવાર શરમજનક રેગિંગની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને બોલાવી 'ઇન્ટ્રો' આપવાની ફરજ પાડી તેમની સાથે પરાણે હસી-મજાક કરીને માનસિક રીતે ટોર્ચર કરવા બદલ 14 જેટલા સિનિયર વિદ્યાર્થીઓને માત્ર કોલેજની બોયઝ હોસ્ટેલમાંથી 6 માસથી લઈને બે વર્ષ સુધીના સમયગાળા માટે રસ્ટિકેટ(સસ્પેન્ડ) કરી સત્તાવાળાઓએ ચુપકીદી સાધી લીધી છે. GMERS મેડિકલ કોલેજમાં 'રેગિંગ'નું કલંકગાંધીનગર મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં રેગિંગની નવી ઘટના સામે આવતા કોલેજ વહીવટીતંત્રની જવાબદારી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એટલે કે UGC રેગિંગને ફોજદારી ગુનો ગણાવતું હોવા છતાં મેડિકલ કોલેજ તંત્ર દ્વારા વારંવાર બનતી આવી ઘટનાઓમાં કડક કાર્યવાહી કરવાને બદલે 'ભવિષ્ય ન બગડે' તેવી નરમ નીતિ અપનાવવામાં આવી છે. સિનિયરો દ્વારા જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગપ્રથમ વર્ષની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અભ્યાસ શરૂ થઈ ગયો છે. તેવામાં કોલેજની બોયઝ હોસ્ટેલમાં બીજા અને ત્રીજા વર્ષના કેટલાક વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને બોલાવીને તેમને 'ઇન્ટ્રો' આપવાની ફરજ પડાઈ હતી. બાદમાં તેમની સાથે પરાણે હસી-મજાક કરીને માનસિક રીતે ટોર્ચર કર્યા હતા. જેના પગલે પ્રથમ વર્ષના કેટલાક વિદ્યાર્થીઓએ હિંમત દાખવીને તાત્કાલિક મેડિકલ કોલેજ સત્તાધિશો સમક્ષ લેખિતમાં રજૂઆત કરી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને કોલેજ સત્તાધિશોએ તપાસ શરૂ કરી હતી. પૂછપરછના અંતે બીજા અને ત્રીજા વર્ષના 14 જેટલા વિદ્યાર્થીઓ રેગિંગની ઘટના માટે જવાબદાર હોવાનું સામે આવ્યું હતું. 14 વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી રસ્ટિકેટ કરાયાજોકે કોલેજ તંત્રએ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે તેમને કોલેજમાંથી કાઢી મૂકવાને બદલે માત્ર હોસ્ટેલમાંથી રસ્ટિકેટ કરવાનો નિર્ણય લઈ ભીનું સંકેલી દેવાની પેરવી કરાઈ છે. આ કસૂરવાર 14 વિદ્યાર્થીઓને તેમની સંડોવણીના આધારે 6 માસથી લઈને બે વર્ષ સુધીના સમયગાળા માટે હોસ્ટેલમાંથી રસ્ટિકેટ કરવામાં આવ્યા છે. ઉપરાંત તમામ 14 વિદ્યાર્થીઓના વાલીઓને પણ કોલેજ ખાતે બોલાવીને આ ગંભીર ઘટના અંગે વિગતે જાણ કરવામાં આવી હતી. સિનિયરોએ પટ્ટેથી માર મારીને ઉઠક-બેઠક કરાવીજોકે કોલેજ તંત્ર દ્વારા સત્તાવાર રીતે આ અંગે કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલા ગાંધીનગર મેડિકલ કોલેજમાં ગત વર્ષે માર્ચ મહિનામાં પણ જુનિયર વિદ્યાર્થીને સિનિયરોએ પટ્ટેથી માર મારીને ઉઠક-બેઠક કરાવવાની ઘટના બની હતી. તે સમયે કોલેજ તંત્રએ દાખલારૂપ પગલાં લેવાને બદલે માત્ર માફીપત્ર લખાવીને મામલો દબાવી દીધો હતો. જો કોલેજ દ્વારા અગાઉના કેસમાં કડક કાર્યવાહી કરવામાં આવી હોત, તો કદાચ આજના 14 વિદ્યાર્થીઓ રેગિંગ કરતા પહેલા બે વખત વિચાર કરતા હોત. રેગિંગના કારણે છાત્રના મૃત્યુની ઘટનાપાટણની ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગના કારણે છાત્રના મૃત્યુની ઘટનાએ રાજ્યભરમાં ચર્ચા જગાવી હતી.જે બાદ તમામ મેડિકલ કોલેજોમાં યુજીસીની એન્ટિ-રેગિંગ માર્ગદર્શિકાનું કડક પાલન કરવા અને જાગૃતિ કાર્યક્રમો યોજવાની સૂચના અપાઈ હતી. જોકે ગાંધીનગર મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષનો અભ્યાસ શરૂ થઈ ગયો હોવા છતાં હજી એન્ટી રેગિંગ કમિટીની બેઠક જ મળી નથી.
શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓ અને પ્રાથમિક, માધ્યમિક તેમજ પ્રૌઢ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ દેવભૂમિ દ્વારકા જિલ્લાનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન તેમણે જિલ્લાની શૈક્ષણિક સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ ખંભાળિયા તાલુકાની દાંતા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. અહીં તેમણે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત બનતી વાનગીઓનો સ્વાદ ચાખી ભોજનની ગુણવત્તા ચકાસી હતી. શાળાના આચાર્ય પાસેથી શિક્ષણ સિવાય બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે થતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે પણ માહિતી મેળવી હતી. તેમણે શાળામાં નિર્માણાધીન બાંધકામની પણ મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં, મંત્રીએ ખંભાળિયા તાલુકાની વિંજલપર મોડલ સ્કૂલની મુલાકાત લીધી હતી. તેમણે બાળકોના શિક્ષણ, હોસ્ટેલ, ભોજન સહિતની તમામ આનુષંગિક વ્યવસ્થાઓની ચકાસણી કરી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. તેમણે શાળા અને હોસ્ટેલમાં સ્વચ્છતા જાળવવા પર ખાસ ભાર મૂક્યો હતો. રાજ્ય શિક્ષણમંત્રીએ ખંભાળિયા સ્થિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે જિલ્લા શિક્ષણ વિભાગની સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે શિક્ષકોને બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવા, આગામી સમયમાં દરેક બાળક વાંચન, લેખન અને ગણનમાં સક્ષમ બને તે સુનિશ્ચિત કરવા અને વાલીઓને પણ બાળકના શિક્ષણ વિશે માહિતગાર કરવા જણાવ્યું હતું. શિક્ષણની સાથે બાળકોને આપણી સંસ્કૃતિ વિશે પણ માહિતી મળે તેવા પ્રયત્નો કરવા માર્ગદર્શન આપ્યું હતું. આ મુલાકાત દરમિયાન, રાજ્ય શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ ખંભાળિયા તાલુકાની વિવિધ શાળાઓમાં બાળકો સાથે સંવાદ કર્યો હતો. તેમણે રસોડામાં તૈયાર થઈ રહેલા ભોજનનું જાતે નિરીક્ષણ કર્યું હતું અને બાળકો સાથે ભોજન પણ લીધું હતું. તેમણે છોકરીઓ સાથે પણ ભોજન લીધું અને તેમની સાથે વાતચીત કરી હતી. વર્ગખંડમાં બાળકોની બેન્ચ પર બેસીને તેમણે બાળકો સાથે વાંચન સહિતનો સંવાદ કર્યો હતો. મંત્રીએ શિક્ષકોને બાળકોના વિકાસ માટે કડક ભાષામાં જરૂરી સૂચનાઓ આપી હતી અને એક મહિના પછી પરિણામ જોવા માટે ફરી નિરીક્ષણ કરવાની વાત કરી હતી. આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ, અગ્રણી પી.એસ. જાડેજા, મયુરભાઈ ગઢવી, રસિકભાઈ નકુમ, લુણાભા સુમાણિયા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કચ્છના ભીમસરમાં ગાંજાનું ખેતર ઝડપાયું:આડેસર પોલીસે 104 કિલો ગાંજો જપ્ત કર્યો, એકની ધરપકડ
કચ્છના રાપર તાલુકાના ભીમસર ગામેથી ગાંજાના વાવેતરનું એક મોટું ખેતર ઝડપાયું છે. આડેસર પોલીસે દરોડો પાડીને 52 લાખ રૂપિયાથી વધુની કિંમતનો 104 કિલોથી વધુ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરી છે. આડેસર પોલીસે વાડી વિસ્તાર, ભીમસર, તા. રાપરના રહેવાસી અરજણભાઈ દેવાભાઈ કોળીની ધરપકડ કરી છે. તેમની પાસેથી કુલ 104.300 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત 52,15,000 રૂપિયા આંકવામાં આવી છે. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી આડેસર પીઆઈ જે.એમ. વાળા અને તેમના સ્ટાફ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરોડાની કાર્યવાહી કલાકો સુધી ચાલી હતી. પોલીસે આ અંગે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આડેસર પીઆઈ જે.એમ. વાળાએ જણાવ્યું કે, બાતમીના આધારે ભીમસર ગામે દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં ખેતરમાં વાવેતર કરાયેલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. NDPSના ગુનામાં પકડાયેલા આ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાપર તાલુકાના બારદરગઢ ગામ નજીકથી પણ 2.76 લાખ રૂપિયાની કિંમતના ગાંજાના છોડ સાથે એક વ્યક્તિ ઝડપાયો હતો, જે દર્શાવે છે કે વાગડ વિસ્તારમાં માદક પદાર્થના સેવનની પ્રવૃત્તિઓ જોવા મળી રહી છે.
હિંમતનગરના કાંકણોલમાં ટ્રેક્ટર રિવર્સ થયું:ઘર આગળ ઊભેલા ખેડૂતને ગંભીર ઈજા, ઘટના CCTVમાં કેદ
હિંમતનગર તાલુકાના કાંકણોલ ગામે એક અનોખી ઘટના બની છે. ઘર આગળ પાર્ક કરેલું ટ્રેક્ટર ડ્રાઈવર વગર અચાનક રિવર્સ થતાં એક ખેડૂત ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કાંકણોલ ગામના જયેશભાઈ ડાહ્યાભાઈ પટેલના ઘરે શનિવારે ઘર આગળ ટ્રેક્ટર પાર્ક કરેલું હતું. ઘર આગળના ઢાળને કારણે ટ્રેક્ટર આપોઆપ રિવર્સ થવા લાગ્યું હતું. જયેશભાઈ પટેલ દરવાજા પર પીઠ ફેરવીને ઊભા હતા ત્યારે તેમને જાણ બહાર ટ્રેક્ટરના આગળ અને પાછળના ટાયર તેમના શરીર પર ફરી વળ્યા હતા. આથી તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઈજાગ્રસ્ત જયેશભાઈને તાત્કાલિક સારવાર અર્થે હિંમતનગરની પ્લુટો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બોટાદ જિલ્લામાં સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ Tobacco Free Youth Campaign 3.0 (TFYC) અંતર્ગત તમાકુ વિરોધી કાયદાનાં કડક અમલીકરણ માટે ટાસ્ક ફોર્સ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી. એ. ધોળકિયા તથા એપિ ડેમિક મેડિકલ ઓફિસર ડો. આર. આર. ચૌહાણના નિયંત્રણમાં જિલ્લાનાં તમામ તાલુકાઓમાં તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા તમાકુ નિયંત્રણના નિયમોનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનને વધુ અસરકારક બનાવવા બોટાદ જિલ્લાના ટાટમ અને કાનીયાડ ગામોમાં એક સાથે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. ચેકિંગ દરમિયાન 18 જેટલા પાન-ગલ્લા, દુકાનદારો અને નાનાં-મોટાં વેપારીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાં 15 દુકાનદારો પાસેથી રૂ.270 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ટાસ્ક ફોર્સ દ્વારા ખાસ કરીને “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ – COTPA 2003”નાં નિયમોનું ઉલ્લંઘન કરતી પ્રવૃત્તિઓને રોકવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. 18 વર્ષથી ઓછી વયનાં વ્યક્તિને તમાકુ નું વેચાણ, સિગા રેટ–બીડીનું છૂટક વેચાણ, આરોગ્ય ચેતવણી વિના પેકેટોનું વેચાણ, તેમજ શાળા આસપાસ તમાકુ વેચાણ પર પ્રતિબંધ જેવી મહત્વની બાબતો અંગે વેપારીઓને સમજાવટ સાથે કાયદેસર પગલાં લેવામાં આવ્યાં હતાં. ઉપરાંત બીલ વિના વેચાતી ઈમ્પોર્ટેડ સિગારેટ જેવી બિનઅધિકૃત વસ્તુઓની પણ તપાસ હાથ ધરાઈ હતી.આ કામગીરીમાં પ્રા. આરોગ્ય કેન્દ્ર ટાટમના મેડિકલ ઓફિસર ડો. વિશાલ કણઝરીયા, તાલુકા સુપરવાઈઝર હિતેશભાઈ બી.પટેલ, એચ.પી.એચ.ડબલ્યુ. યોગેશભાઈ મેર, તેમજ પ્રા. આરોગ્ય કેન્દ્ર કાનીયાડના મેડિકલ ઓફિસર ડો. સેજલબેન ભૂત, સુપરવાઈઝર પીયુષભાઈ ખાવડીયા અને પોલીસ વિભાગનાં રાજુભાઈ અણીયાળીયા વિગેરે જોડાયા હતા.
પોલીસ મહાનિર્દેશક તથા મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં છેલ્લા 30 વર્ષ દરમિયાન વિવિધ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનું ચેકિંગ હાથ ધરવાના અભિયાનના આદેશ આપવામાં આવ્યા હતા. જે અભિયાન અંતર્ગત અમદાવાદ રેન્જ આઇજી વિધિ ચૌધરી તથા ઓમ પ્રકાશ જાટ અધિક્ષક અમદાવાદ જિલ્લા ગ્રામ્યના સીધા માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં વિશાળ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાને ધ્યાનમાં લઇ અમદાવાદ જિલ્લા ગ્રામ્યના નાયબ પોલીસ અધિકારી-4, પોલીસ ઇન્સ્પેક્ટર- 25, પોલીસ સબ ઇન્સ્પેક્ટર-52, પોલીસ કર્મીઓ- 350થી વધુ આમ 400થી વધુ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ આ અભિયાનમાં જોડાયા હતા. 100 કલાકની સ્પેશિયલ ડ્રાઈવમાં છેલ્લા 30 વર્ષના ગંભીર ગુનાઓ જેવા કે હથિયાર ધારા, NDPS એક્ટ, Exmplosive એક્ટ, બનાવટી ચલણી નોટ (FICN), TADA, POTA, MCOCA તેમજ UAPA અને પેટ્રોલિયમ એક્ટ જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. 960 આરોપીઓની વિગતવાર પૂછપરછ તેમની વર્તમાન પ્રવૃત્તિઓ અંગે માહિતી, જરૂરી દસ્તાવેજોની તપાસ તેમજ તેમના અધ્યતન ફોટોગ્રાફ્સ મેળવી પ્રોફાઈલ અપડેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ ઉપરાંત અભિયાન અંતર્ગત જિલ્લાના તમામ ગેસ્ટ હાઉસો, હોટલો અને મકાન ભાડુંઆતોનું રજીસ્ટ્રેશન સહિતની કામગીરી પણ અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવી હતી. આ અભિયાનનો પોલીસને મુખ્ય હેતુ જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરવી, ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ પર કડક દેખરેખ રાખવી અને ભવિષ્યમાં કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવાનું છે.
હાઇકોર્ટે રેલ્વેના 2 એન્જિનિયરોને ધરપકડ સામે વચગાળાનું રક્ષણ આપ્યું
મુંબ્રા ટ્રેન દુર્ઘટનામાં પાંચ પ્રવાસીનાં મોતની ઘટનાં પોલીસને 9 ડિસેમ્બર સુધી બંને સામે કોઈ જબરદસ્તી કાર્યવાહી નહીં કરવાનો નિર્દેશ આપ્યો મુંબઈ - ૯ જૂનના રોજ પાંચ મુસાફરોના જીવ લેનારા મુમ્બ્રા ટ્રેન અકસ્માતના આરોપી મધ્ય રેલ્વેના એન્જિનિયરો વિશાલ ડોલસ અને સમર યાદવને બોમ્બે હાઈકોર્ટે ધરપકડ સામે વચગાળાની રાહત આપી છે. ગયા અઠવાડિયે થાણે સેશન્સ કોર્ટે તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધા બાદ, બંને એન્જિનિયરોએ હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો.સરકારી વકીલે કોર્ટને માહિતી આપી હતી કે આ કેસમાં તપાસ હજુ પણ ચાલુ છે.
ભેળસેળિયા તત્વો બેફામ બન્યા:પાલિતાણામાં ખાદ્ય પદાર્થોમાં મિલાવટ સાથે ભેળસેળિયા તત્વો બેફામ બન્યા
પાલિતાણા શહેરમાં વેચાતા ખાધ પદાર્થોમાં ખુલ્લેઆમ મીલાવટ થઈ રહી છે. જન આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહેલા તત્વો સામે કાનૂની રાહે પગલા ભરવામાં સરકારી તંત્ર લાજ કાઢતું હોવાથી ભેળસળીયા તત્વો બેફામ બન્યા છે. ખોરાક અને ઐષધ વિભાગ, આરોગ્ય શાખા, બ્લોક હેલ્થ, નગરપાલિકા તેમજ જવાબદાર તંત્ર કચેરીઓમાં બેઠા બેઠા તગડો પગાર મેળવતા અધિકારીઓ, કર્મચારીઓ ઓફિસમાં આરામ ફરમાવી જન આરોગ્યની ખેવના કરતા ન હોવાના કારણે શહેરમાં ખાદ્ય પદાર્થોમાં ખુલ્લેઆમ ભેળસેળ થઈ રહી છે. માત્રને માત્ર રૂપિયા કમાવવાની લ્હાયમાં ખોરાકી ખાદ્ય નિયમોનો સરેઆમ ઉલાળીયો કરવામાં આવતો હોવા છતાં પણ સંબંધિત તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવતા નથી. શહેરમાં મુખ્ય બજાર, ગલીઓમાં, શેરીઓમાં ઠેર ઠેર ધમધમી રહેલ પાણીપુરીઓની લારીઓ, નાસ્તાની રેકડીઓ, દુકાનો, ભોજનાલય, રેસ્ટોરન્ટની આજદિન સુધી તપાસ થયેલ નથી. પાણીપુરી ની રેકડીઓ ઉપર આપવામાં આવતું પાણી પીવા માટે નુકસાનકારક છે. સરકારી તંત્રની લાપરવાહીના કારણે ખુલ્લેઆમ કોઈ જાતના ડર વગર જન આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા છે. આવી જ રીતે ફરસાણના વેપારીઓ ફરસાણ તળવાની કડાઈમાં બેરોકટોક દાઝિયા તેલનો ઉપયોગ કરી રહ્યા છે. કલરવાળા ગાંઠિયાના કલર પણ તપાસ માગી લે છે. મીઠાઈ બનાવવામાં વપરાતા માવાની ગુણવત્તા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. આવી જ રીતે ફાસ્ટફૂડની દુકાનો, લારીઓમાં આરોગ્યલક્ષી નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરાઈ રહ્યો છે. અનેક ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળ કરવામાં આવી રહી છે. આવું જ ખાદ્ય તેલમાં પણ બની રહ્યું છે. ખાદ્ય તેલમાં મોટા પાયે ભેળસેળ થતી હોવાની વાતો ચર્ચા રહી છે. ત્યારે જન આરોગ્ય અર્થે પ્રજાના હિતમા સંબંધિત તંત્ર દ્વારા કડક પગલાં ભરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
સામાજિક સમસ્યા:મહુવામાં વહેલી તકે અશાંત ધારો લાગુ કરાય તેવી લોક માંગ
ગુજરાતના અનેક શહેરોમાં વિધર્મીઓ દ્વારા હિન્દુ વિસ્તારોમાં એકાદુ મકાન ઉચા ભાવે રાખી હિન્દુ વિસ્તારમાં પગપેસારો કરવામાં આવે છે. ત્યાર બાદ અન્ય હિન્દુઓના મકાન વિધર્મીઓ દ્વારા પાણીના ભાવે ખરીદવામાં આવે છે. આમ ધીમે ધીમે હિન્દુ વિસ્તારમાંથી હિન્દુઓનું પલાયન શરૂ થાય છે. અને ધીમે ધીમે સમગ્ર વિસ્તાર વિધર્મીઓનો થઈ જાય છે. આમ આવા હિન્દુ વિસ્તારોની ડેમોગ્રાફી બદલાઇ જાય છે. મહુવા શહેરના જુના ગામ વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા યેનકેન પ્રકારે એકાદુ મકાન ઉચા ભાવે ખરીદી કરવામાં આવતા ધીમે ધીમે આવા વિસ્તારોમાંથી હિન્દુ સમુદાય ભારે હૈયે પલાયન કરવા મજબુર બને છે. જે ઘરમાં પોતાનો જન્મ થયો હોય અને જે શેરીઓમાં પોતાનુ બાળપણ વિત્યુ હોય જ્યાં પોતાની લાગણી જોડાઈ હોય એ મકાન અને વિસ્તારમાં આવેલુ તેમજ પોતાની આખી જીંદગીની કમાણીમાથી બનાવેલ પોતાના સપનાનું મકાન તદ્ન પાણીના ભાવે વિધર્મીઓને વેચવા મજબુર બને છે. મહુવામાં પણ વિધર્મીઓ દ્વારા હિન્દુ વિસ્તારોમાં ઉચા ભાવે મકાન લઈ પગપેસારો કરવાનું ધ્યાનમા આવતા આ વિસ્તારોના જાગૃત હિન્દુ રહેવાસીઓ દ્વારા મકાન વેચનાર સામે ભારે વિરોધ થતા આ સોદો રદ થયો હોવાનુ લોકમુખે ચર્ચાઈ રહ્યુ છે. અને મકાનના ઉચા ભાવની લાલચે વિધર્મીને મકાન વેચનાર સામે સ્થાનિક હિન્દુ રહેવાસીઓ ફિટકાર વરસાવી રહ્યા છે. અને મહુવામા પણ અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી રહ્યા છે. એક સમયે મહુવાના સુખડીયા શેરી, ખત્રી શેરી, ચકુભાઇનો ખાંચો, નાગરવાડા, શેઠ શેરી, નવા ઝાંપા વિસ્તાર, ગોળ બજાર વગેરે અનેક વિસ્તારોમાં હિન્દુ સમાજની વસ્તી હતી. જ્યાં નવરાત્રી, હોળી, દિવાળી જેવાં તહેવારોમાં આ વિસ્તારની રોનક જોવા લાયક હતી. નવરાત્રીના તહેવારમાં નવ દિવસ માતાજીની સ્થાપના, આરાધના ભકતિ ભાવ સાથે કરવામાં આવતી હોય છે. પરંતુ આજે આ સમ્રગ વિસ્તાર અને શેરીઓમાં વિધર્મીઓ રહેવા આવી જતા બહુમત હિન્દુ સમાજે ફરજીયાત અન્ય જગ્યાએ રહેઠાણ કરવાની ફરજ પડી છે. મહુવાના જુના ગામમાં હિન્દુ વસ્તી ધરાવતા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વિધર્મીઓ દ્વારા ઉચા ભાવે મકાન ખરીદવાના પ્રયાસ થઈ રહ્યા છે. જેના લીધે હિન્દુ સમાજમાં આક્રોશ ઉભો થયો છે. સ્થાનીક તંત્ર સરકાર પાસે મહુવામાં વહેલી તકે અશાંત ધારો લાગુ કરવાની માંગ ઉભી થવા પામી છે. કેસ -1 : નાળયેરી કુવા પાસેનો વિસ્તારઆશરે ત્રણેક માસ પહેલા નાળયેરી કુવા પાસેના વિસ્તારમાં વિધર્મી દ્રારા ઉચા ભાવે મકાન લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ સ્થાનિક હિન્દુ રહેવાસીઓ દ્રારા ઉગ્ર વિરોધ કરવામા આવ્યો હતો અને મહુવા કલેકટરને આ અંગે લેખિત જાણ પણ કરવામાં આવેલ જેથી મકાન લેનાર વિધર્મી દ્વારા સોદો રદ કરવામા આવ્યો હતો. કેસ -2 : સુખનાથ શેરી વિસ્તારઆવી જ એક ઘટના મહુવાની સુખનાથ શેરી વિસ્તારમાં વિધર્મી દ્વારા એક મકાન ઉચા ભાવે રાખવાનો પ્રયાસ કરવામા આવેલ જેની જાણ આજુ બાજુના હિન્દુ રહેવાસીઓને થતા વિધર્મીને મકાન વેચનારને આ બાબતે વિરોધ કરતા મકાન વેચવાનો સોદો રદ કરવાની ફરજ પડી હતી.
તંત્રની ઉદાસીનતા:સિહોરના જંગલમાં પ્લાસ્ટિકના પ્રદૂષણથી સૌંદર્ય ઘટ્યું
સિહોર એક એવું શહેર છે કે જેની પૂર્વ દિશામાં જંગલ આવેલું છે. જંગલ એ કુદરતી સૌંદર્ય છે. જંગલની જાળવણી કરવી એ આપણી સૌની સામૂહિક જવાબદારી ગણાય. સિહોરવાસીઓ એટલા ખુશકિસ્મત છે કે સિહોરની નજીક જંગલ વિસ્તાર આવેલો છે. અને હાલમાં ધીમે-ધીમે આ જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક અને ઘરવખરીના જૂના સામાનનું પ્રદૂષણ વધી રહ્યું છે. જે જંગલની શોભા અને સુંદરતામાં ઘટાડો કરી રહ્યું છે. ચોમાસામાં જ્યારે સિહોરનું જંગલ અને તેની ગિરિમાળાઓ સોળે કળાએ ખીલી ઊઠે છે ત્યારે તેનો નયનરમ્ય નજારો ચારેક મહિના સુધી કોઇ પણ પ્રકૃતિ પ્રેમી માણસને રોમાંચિત કરી દે એવો નયનરમ્ય હોય છે. અને શિયાળામાં પણ થોડા સમય સુધી આ નજારો એટલો જ આહલાદક હોય છે. પરંતુ આ જંગલમાં ધીમે-ધીમે પ્લાસ્ટિક અને અન્ય કચરાનું પ્રદૂષણ વધી રહ્યું છે. આ બાબત બેહદ ગંભીર છે. અને તેને વન વિભાગે ગંભીરતાથી લેવી જ જોઇએ. લોકોએ પણ જંગલની સ્વચ્છતા જળવાઇ રહે તે માટે સ્વયંભુ વન વિભાગને સહકાર આપવો રહ્યો. અત્યારે તો આ જંગલમાં ધીમે-ધીમે પ્રદૂષણના પગરવ થઇ રહ્યા છે. પરંતુ આ બાબતે ઉદાસીનતા દાખવવામાં આવશે તો આ જંગલ પ્રદૂષિત થઇ જશે. અને જો આપણે પર્યાવરણ બચાવીશું તો પર્યાવરણ આપણને બચાવશે. આથી વન વિભાગ અને નગરજનોના સંયુક્ત અભિયાન થકી સિહોરની શોભા સમાન આ જંગલને રળિયામણું બનાવી શકાય.
સૌરાષ્ટ્ર સમાચાર ઇમ્પેક્ટ:શત્રુંજય તીર્થમાં યાત્રિકો માટે જૈન આઇ કાર્ડનો આરંભ થશે
વિશ્વભરના જૈનો શત્રુંજય મહાતીર્થની જાત્રા કરવા લાખોની સંખ્યામાં આવે છે. જે યાત્રિકો ડોળીમાં જાત્રા કરતા હોય છે તેઓની સુવિધા અને અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડોળી કામદાર સમૃદ્ધિ યોજના દ્વારા ગુરુ ભગવંતોના માર્ગદર્શન હેઠળ ડોળી કામદારોને અપાયેલા જૈન આઈ કાર્ડ અને ડોળી અંગેની વ્યવસ્થા પહોંચનો તા. 25 નવેમ્બરને મંગળવારથી પ્રારંભ કરાશે.. ગુજરાત યુવક મહાસંઘના પ્રમુખ ભદ્રેશ શાહે જણાવ્યું કે ગયા વર્ષે જૈન સંઘની ડોળીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેના કારણે ડોળી કામદારોને ડોળી પેટે ₹100 ચૂકવવા પડતા હતા તેમાંથી કાયમી મુક્તિ અપાવવામાં આવી હતી. આ જ વ્યવસ્થાને વધુ સુવિધાજનક બનાવવા માટે જૈન ડોળી કામદાર સમૃદ્ધિ યોજના અંતર્ગત જૈન આઈ કાર્ડ અપાયેલ છે. ડોળીમાં યાત્રા કરનાર યાત્રિકોએ ડોળી કામદાર પાસે જૈન આઈ કાર્ડ ચકાસીને અને તેની વ્યવસ્થા પહોંચ ફળાવીને જ ડોળીમાં યાત્રા કરવી. હાલમાં ડોળી યુનિયન દ્વારા ડોળીમાં યાત્રા કરનાર પાસેથી ગેરકાયદેસર રૂપિયા 20 ઉઘરાવાય છે. જે તાત્કાલિક બંધ થાય તે માટે નાયબ કલેકટરથી લઈને ગાંધીનગરમાં ઉચ્ચસ્તરે ફરિયાદ કરાઈ છે. નવી શરૂ થઈ રહેલ વ્યવસ્થા અંતર્ગત ડોળીમાં યાત્રા કરનાર યાત્રિકોને અપાતી વ્યવસ્થા પહોંચના રૂપિયા 20 આપવાના રહેશે નહિ. જૈન આઈ કાર્ડના આધારે સારું વર્તન કરનાર ડોળી કામદારને પ્રોત્સાહન ઇનામ, બહુમાન વિગેરે કરવામાં આવશે. હાલમાં ડોળી કામદાર સમૃદ્ધિ યોજના અંતર્ગત મૃત્યુ પામનાર ડોળી કામદારના પરિવારને ₹25,000 સહાય કરવામાં આવે છે. તદુપરાંત આકસ્મિક માંદગી વિગેરેમાં પાંચથી દસ હજાર રૂપિયાની સહાય કરવામાં આવે છે. જૈન અગ્રણી વિરેશભાઈ શેઠે જણાવ્યું કે ડોળી કામદારોને સરકારી લાઇસન્સ આપવામાં આવે તે માટે સક્ષમ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરાઈ છે. ડોળી કામદારોને નોકરી, અનાજ મળે તેવી વિચારણાચોમાસામાં જૈન મહાતીર્થ પાલિતાણા શત્રુંજ્યમાં યાત્રા બંધ હોય ત્યારે ડોળી કામદારોને ધર્મશાળાઓ અને ભોજન શાળાઓમાં કે અન્ય ચાતુર્માસના આયોજનમાં નોકરી મળી રહે અને અનાજની કીટ વિગેરે પણ તેઓને મળે તેવું આયોજન વિચારાઈ રહેલ છે. પૂજ્ય આચાર્ય ભગવંતના માર્ગદર્શન હેઠળ ચાલુ થયેલ જૈન સંઘની ડોળીની સુવ્યવસ્થા બાદ જૈન સંઘનું આઈકાર્ડ (જૈન આઈ કાર્ડ) અને જૈન સંઘની વ્યવસ્થા પહોંચનો પ્રારંભ ડોળી કામદાર સમૃદ્ધિ યોજના દ્વારા કરવામાં આવી રહેલ છે. જેથી સુવિધામાં વધારો થશે. ડોળી કામદારોને વિવિધ પ્રકારની સહાય મળશેજૈન આઈ કાર્ડના કારણે માત્ર ડોળી વ્યવસાયના માધ્યમે પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ડોળી કામદારોને વિવિધ પ્રકારની સહાય, વ્યવસાયિક સુરક્ષા અને અનેક પ્રકારની સમૃદ્ધિ યોજનાનો લાભ મળશે. જે કાયમી ડોળીનો વ્યવસાય કરે છે તેવા ડોળી કામદારોને યોગ્ય વળતર અને મહદ્ અંશે કામ મળે તે માટેની સુવ્યવસ્થિત યોજના જૈન સંઘના શ્રેષ્ઠિઓ દ્વારા ગુરુ ભગવંતના માર્ગદર્શન હેઠળ વિચારવામાં આવી રહી છે.
લોકાપર્ણ:ભાવનગર બ્લડ બેંકને રક્તદાન મોબાઈલ વાનનું લોકાર્પણ કરતા જગદીશભાઈ વિશ્વકર્મા
ભાવનગર બ્લડ બેંકને જીતુભાઈ વાઘાણી તથા મધુસિલિકાના આર. વી. શાહ તથા દર્શકભાઈ શાહના આર્થીક સહયોગથી અત્યાઆધુનિક બ્લડ બેંક મોબાઈલ વાનનું લોકાર્પણ ઇસ્કોન ક્લબ ખાતે કરાયુ. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે તથા જીતુભાઈ વાઘાણી તથા કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા, નીમુબેન બાંભણીયા, ક્રૌશિકભાઈ વેકરીયા ધારાસભ્ય સેજલબેન પંડયાની ઉપસ્થિતિમાં મધુસીલિકાના આર. વી. શાહ તથા બ્લડ બેંકના ચેરમેન ડો. વી એમ ધાનક, ટ્રસ્ટી ડૉ. નીલુભાઈ વૈષ્ણવ, બીપીનભાઈ મહેતા, તુષારભાઈ જયસ્વાલ, બીનાબેન મહેતા, હેમલભાઈ વૈષ્ણવ તથા આર્જવભાઈ મહેતાને મોબાઈલ વાનની કી અર્પણ કરવામાં આવેલ હતી. જીતુભાઈ વાઘાણીએ જણાવેલ કે ભાવનગર બ્લડ બેંક શહેરની 42 વર્ષ જૂની સંસ્થા છે. અને તેઓ રક્તદાન તથા થેલેસેમિયાના બાળકોને બ્લડ ટ્રાન્સફ્યુઝન તથા અન્ય સ્વાસ્થ્ય અને HIV એઇડ્સ અંગેની સરાહનીય કામગીરી ભાવનગર શહેર અને જીલ્લામાં કરે છે. આ પ્રસંગે સ્વામીનારાયણ ગુરુકુળના કે. પી. સ્વામી, ઇસુબાપુ, સાધુ સંતો તથા મેયર ભરતભાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા તથા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કુમારભાઈ શાહ તથા જીલ્લા અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ ઉપસ્થિત રહેલ. તેમજ શહેરના શ્રેષ્ઠીઓ વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ, જ્ઞાતિ મંડળો, વેપારી સંગઠનો અને કેમ્પ આયોજકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.
સન્માન:તેજસ્વી વિદ્યાર્થિનીઓનું સામાજિક ન્યાય મંત્રીના હસ્તે સન્માન કરાયું
સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાએ ભાવનગર ખાતે અનુસૂચિત જાતિની ભાણિમા કન્યા છાત્રાલયની મુલાકાત લીધી હતી તેમજ ભાણિમા કન્યા છાત્રાલય મેઘાણી સર્કલ ખાતે શૈક્ષણિક ક્ષેત્રે પ્રતિભાવાન વિદ્યાર્થિનીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. મંત્રીએ છાત્રાલયની મુલાકાત પહેલા જશોનાથ સર્કલ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પુષ્પાંજલિ અર્પણ કરી હતી, ત્યારબાદ વાલ્મિકી વસાહત કરચલિયાપરા ખાતે મહિલા કાર્યકર્તા રેખાબેન બારૈયાના નિવાસ સ્થાને વસાહતની મુલાકાત કરી ખાટલા બેઠક કરી હતી. મંત્રીએ અનુસૂચિત જાતિની છાત્રાલય મેઘાણી સર્કલ ખાતે ભાણિમા કન્યા છાત્રાલયની મુલાકાત લઈ વિદ્યાર્થીઓના અભ્યાસ બાબતે જરૂરી સૂચન કર્યું હતું. છાત્રાલયમાં વિદ્યાર્થિનીઓ સાથે ભોજન લીધું હતું. ભાવનગરની મુલાકાત વેળાએ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાએ અનુસૂચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર સંચાલિત ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કન્યા છાત્રાલયની પણ મુલાકાત લીધી હતી. કુંભારવાડા ખાતે અગ્રણી જીવરાજભાઈ રાઠોડના નિવાસ સ્થાને પ્લાસ્ટિક યુનિટની મુલાકાત લઈ પ્લાસ્ટિક યુનિટ એસોસિએશનના પ્રશ્નો સાંભળ્યા હતા. ત્યારબાદ ચિત્રા GIDC ખાતે ઔદ્યોગિક ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બદલ પિનાકિનભાઇ સોલંકીનું સન્માન કર્યું હતું. દલિત અધિકાર સંઘ દ્વારા વિવિધ પ્રશ્ને રજૂઆતમંત્રી પ્રદ્યુમનભાઈ વાજાની ભાવનગરની મુલાકાત દરમિયાન ભાવનગર દલિત અધિકાર સંઘ દ્વારા પ્રદેશ મહામંત્રી મોહનભાઇ બોરીચાની આગેવાની હેઠળ અનુસૂચિત જાતિના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરાઇ હતી. જેમાં શહેરમાં આવેલા ડો.આંબેડકર ભવનની રૂ. 98 લાખ રિનોવેશનની ગ્રાન્ટની ફાળવણી, સરકારી અનુ. જાતિ કન્યા છાત્રાલય, જેલ રોડ ખાતે વહલે તકે બન્ને કામ શરૂ કરવા તેમજ અનુ. જાતિના ગ્રાન્ટ ઇન એડ છાત્રાલયના કર્મચારીઓના પગાર વધારાની માગ કરાઇ હતી.
મંદિરમાં ચોરી:માંડવી ગામે ચામુંડા માતાના મંદિરમાંથી છત્તરની ચોરી
ગારીયાધાર તાલુકાના માંડવી ગામે રહેતા મહિપતભાઈ મગનભાઈ ડુમરાળિયા કે તેઓ એ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેમના ગામમાં પોતાના કુળદેવી ચામુંડા માતાનો મઢ આવેલો છે તેમાં તેઓ સેવા પૂજા કરે છે. ત્યારે તા 19/11 ના સાંજે માતાજીના મંદિરે આરતી પૂજા કરી મુખ્ય દરવાજે તાળું મારી ગયા હતા, ત્યારે સવારે 20/11 ના માતાજીના મઢ ના દરવાજા ખુલ્લા અને વસ્તુઓ હતી તેથી ગામના આગેવાનો નજીકમાં રહેતા લોકોને ભેગા કરી ચોરી થયાની માહિતી આપતા માતાજીના મંદિરમાં ચડાવેલા સોના ચાંદીના છત્તર અને ચાંદીનો મુગટ અંદાજે કિંમત 1 લાખ 31 હજાર નો મુદ્દા માલ કોઈ અજાણ્યો ચોર ચોરી ગયો હોય તેવી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
ગાંજો ઝડપાયો:શહેરના રાણીકા વિસ્તારમાંથી 113 ગ્રામ ગાંજો ઝડપાઈ ગયો
ભાવનગરમાં વધતા ગાંજાના દૂષણ સામે શહેરના રાણીકા વિસ્તારમાંથી પોતાના ઘરમાંથી જ આરોપી પ્લાસ્ટિકની પારદર્શક કોથળીઓમાં ગાંજાનું વેચાણ કરતો હતો. આરોપી અગાઉ પણ નારકોટિક્સના ગુનામાં સંડોવાયેલો હોવાની બાતમીના આધારે પોલીસે આરોપીના ઘરે દરોડા પાડી 113 ગ્રામ ગાંજાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભાવનગરમાં ગાંજાનું વેચાણ અને વાવેતર ના કિસ્સાઓ અનેક વખત ઝડપાયા છે ત્યારે ભાવનગર શહેરના રાણીકા વિસ્તારમાં વ્યક્તિ પોતાના ઘરમાંથી જ ગાંજાનુ વેચાણ કરતો હોય તે બાતમીના આધારે, પોલીસે બાતમી વાળી જગ્યા દાંતિયાવાળી શેરી થી પટેલ ફળીમાં મોમાઈ કૃપા નામના મકાનની સામે બે માળનું પાકું મકાન આવેલું છે. ત્યાં એ વ્યક્તિ ને નામ પૂછતા તે ખુદ આરોપી અરવિંદ ઉર્ફે નાનું બોઘાભાઈ ચૌહાણ હોય જેથી પોલીસે તેના ઘરમાં દરોડા પાડી તેના મકાનમાં ઉપરના માળે જવાની સીડી નીચે આચ્છા ગુલાબી કલરની કપડાની થેલી માંથી પારદર્શક પ્લાસ્ટિકની કોથળીઓમાં પડીકી બનાવી ગાંજો પડ્યો હોય તેથી પોલીસે તેનો વજન કરાવતા 113 ગ્રામ ગાંજા સહિત આરોપીને ઝડપી પાડ્યો હતો . સાથે જ આરોપી અરવિંદ ઉર્ફે નાનું બોઘાભાઈ ચૌહાણ અગાઉ પણ નાર્કોટિક્સના ગુનામાં પકડાયેલો હોય તેથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
વીજકાપ:શહેરમાં સોમવારથી જુદા જુદા વિસ્તારોમાં વીજકાપ જાહેર
ચોમાસા બાદ પોસ્ટ મોન્સુન કામગીરી અનુસંધાને પી.જી.વી.સી.એલ. ભાવનગર સિટી-1 ડિવિઝન દ્વારા આગામી તા.24 નવેમ્બર-2025 સોમવાર થી તા.26 નવેમ્બર-2025 બુધવારે 11 કે.વી.ના ફિડરોમાં ત્રણ દિવસ સવારે 7 થી બપોરના 1 સુધી છ કલાકનો વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે. વીજળીની લાઈનોની મરામતની કામગીરીથી તા.24 નવેમ્બર-2025 સોમવારે 11 કે.વી. વેજીટેબલ ફિડર (આંશિક) નીચે આવતા સહકારી ઘાણો, ત્રિવેણી રોલિંગ મિલ (એચ.ટી. કનેક્શન), રૂવાપરી રોડ, રૂવાપરી ચોક, ગોરડ સ્મશાનવાળો ખાંચો, હેલિયો સેન્ટ્રિક (એચ.ટી.કનેક્શન) તથા આજુબાજુના વિસ્તારમાં વીજકાપ રહેશે. તેમજ તા.25 નવેમ્બર-2025 મંગળવારે 11 કે.વી. માઢીયા ફિડર (આંશિક) નીચે આવતા ઠક્કર બાપા સોસાયટી, નારી રોડ, ખાતર વાડી વિસ્તાર, બાનુબેનની વાડી તથા આજુબાજુના વિસ્તારમાં કામગીરીના સમય દરમિયાન વીજકાપ રહેશે. આ ઉપરાંત તેમજ તા.26 નવેમ્બર-2025 બુધવારે 11 કે.વી. પોર્ટ કોલોની ફિડર (આંશિક) નીચે આવતા પોર્ટ કોલોની, ડાયા પોલાની લાતી, ભાવનગર કિડ્સ, રાજા સ્લેટ તેમજ આસપાસના વિસ્તાર, રીના ટાઇલ્સ અને જી.એમ.બી. ક્વાટર્સ વિસ્તારમાં કામગીરીના સમય દરમિયાન વીજકાપ રહેશે.પીજીવીસીએલ દ્વારા મરામતની કામગીરી વહેલું પૂર્ણ થયે કોઈપણ જાતની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુનઃ શરૂ કરી દેવામાં આવશે તેમ સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું.
શિપના કેપ્ટનને હેરાનગતિ:શિપના કેપ્ટનનો પાસપોર્ટ આંચકી લેનાર કસ્ટમ કર્મી બરાબર ભીડાયા
અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડમાં ભંગાવવા માટે આવેલા એક જહાજના કેપ્ટન પાસેથી યેનકેન પ્રકરણે મોટી રકમનો તોડ કરવાના હેતુથી હેરાનગતિ ઉભી કરી રહેલા કસ્ટમ્સ કર્મચારીએ કેપ્ટનનો પાસપોર્ટ આંચકી લેતા તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા, અને ઉચ્ચ અધિકારીઓએ દરમિયાનગીરી કરતા અને સંડોવાયેલા અધિકારીએ માફા-માફી કરી હતી અને સમગ્ર મામલો સંકેલાઇ ગયો હતો. ભંગાણાર્થે આવતા જહાજોનું કસ્ટમ્સના અધિકારીઓ દ્વારા બહાર પાણીએ બોર્ડિંગ કરવામાં આવે છે. અલંગમાં આવેલા એક જહાજમાં અવનવા વાંધા-વચકા કાઢી કેપ્ટનને ભીડવવાના કામમાં કસ્ટમ અધિકારી લાગી ગયા હતા, અને વાત-વાતમાં કેપ્ટનનો પાસપોર્ટ આંચકી લીધો હતો. દરમિયાન વાતાવરણ ગરમ થતા દરિયામાંથી વાત કાંઠે ઓફિસો સુધી પહોંચી હતી, અને કેપ્ટનના દેશની એમ્બેસીમાં ફરિયાદ કરવાની તજવીજ શરૂ થઇ હતી. કસ્ટમ અધિકારીએ હાથ નાંખતા નંખાય ગયો, બાદમાં શિપની સાથે કોણ સંકાળયેલા છે અને તેઓના રાજકીય છેડા, કસ્ટમ્સના ટોચના અધિકારીઓ સાથેના સંબંધ અંગે ભણક લાગતા માફા-માફી કરી અને મામલો થાળે પાડવામાં આવ્યો હતો. જો કે, ભાવનગર કસ્ટમ્સના અધિકારીઓએ પણ નિયત કામગીરીમાં અડચણ ઉભી કરી અને કેપ્ટનને હેરાન કરી રહેલા કર્મચારીનો ઉધડો લીધો હતો. આ મામલે સ્થાનિક કક્ષાએ શિપિંગ વર્તુળોમાં ભારે ચર્ચાઓ વહેતી થઇ હતી.
એક સમયે વારંવારના અકસ્માતો, બેફામ પ્રદૂષણ અને બિનનિયંત્રીત કામગીરીને કારણે સમગ્ર વિશ્વમાં કૂખ્યાત બનેલા અલંગ શિપ રીસાકલિંગ યાર્ડને પોતાની છબી આંતરરાષ્ટ્રીય સ્તરે સુધારવામાં દાયકા લાગ્યા હતા, બાદમાં હોંગકોંગ કન્વેન્શન સહિતના આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ આંગળીના વેઢે ગણી શકાય તેટલા ઉદ્યોગકારો દ્વારા દરિયામાં બેફામ કચરો ઠલવાઇ રહ્યો છે, જેના કારણે તળાજા તાલુકાના દરિયાકાંઠાના ગામોમાં છેલ્લા બે દિવસથી સતત કચરો તણાઇને આવી રહ્યો છે. અલંગમાં ભંગાણાર્થે આવતા જહાજમાં અનેક પ્રકારના કચરા સામેલ હોય છે, જેને નિયત ડિસ્પોઝલ વ્યવસ્થાના માધ્યમથી નિકાલ કરવાનો નિયમ છે. પરંતુ શિપ બ્રેકરો દ્વારા શોર્ટકટ અપનાવવામાં આવે છે. અમુક શિપબ્રેકરોની કાર્યપધ્ધતિને કારણે સમગ્ર વ્યવસાય પુન: બદનામ થઇ રહ્યો છે.ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) દ્વારા અલંગ અને તેની આજુબાજુના ગામોના દરિયાકાંઠે મોનિટરિંગ કરવાનું હોય છે, પરંતુ વાતાનુકુલીત કચેરીની બહાર જવાની તસ્દી તંત્ર દ્વારા લેવામાં આવતી નથી, પરિણામે અલંગની આજુબાજુ પ્રદૂષણની સમસ્યા દિવસે-દિવસે વકરતી જાય છે. અલંગ અને તેની આજુબાજુના ગામોમાં પર્લાઇટ પાવડર ઉડી રહ્યો છે અને ગ્રામ્યજનોને શ્વસન પ્રક્રિયામાં પણ તકલીફ નડી રહી છે. છેલ્લા બે દિવસથી તળાજા તાલુકાના ગામોના દરિયાકાંઠે જહાજનો કચરો તણાઇને આવી રહ્યો છે, તેના અંગે વીડિયો વાયરલ થયા બાદ જીપીસીબી તંત્ર હરકતમાં આવ્યુ છે. બહારપાણીએ આવતા જહાજોનું ચેકિંગ કરવા જીપીસીબીના અધિકારીઓ જાય જ છે, તો શિપમાં પર્લાઇટ પાવડરનો કેટલો જથ્થો છે? તેનો નિકાલ કઇ રીતે કરવામાં આવશે તેના અંગે જીપીસીબી દ્વારા આંખ આડા કાન શા માટે કરવામાં આવી રહ્યા હશે તે બાબત પણ શંકાના વર્તુળમાં છે. તપાસ ચાલુ છે, કાર્યવાહી કરવામાં આવશેદરિયાના પાણીમાં પ્રદૂષણ ફેલાઇ રહ્યા અંગે જીપીસીબીની ટુકડી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, જે કોઇ પણ શિપબ્રેકર દ્વારા આવું કૃત્ય કરવામાં આવી રહ્યું હશે તેઓને છોડવામાં આવશે નહીં, કડક કાર્યવાહી તો થશે જ. > એન.એમ.કાવર, પ્રાદેશિક અધિકારી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ભાવનગર કૃત્ય કરે અમુક, બદનામ થાય છે સમગ્ર અલંગનો ઉદ્યોગજોખમી કચરા સંચાલન માટેની ગેપિલ સાઇટ પણ બનાવવામાં આવી છે, અહીં ક્ષુલ્લક ચાર્જથી કચરો સ્વીકારવામાં આવે છે, પરંતુ અલંગમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા શિપ બ્રેકરો પોતાના જહાજનો કચરો ગેપિલમાં મોકલવાને બદલે દરિયામાં પધરાવે છે, અને તેના કારણે આજુબાજુના ગામોના દરિયાકાંઠે પ્રદૂષણ ફેલાય છે, અને સમગ્ર ઉદ્યોગ બદનામ થાય છે. સ્વાર્થી વૃત્તિ ધરાવતા શિપબ્રેકરોને કાબૂમાં લાવવા SRIAએ પણ લાલ આંખ કરવી જરૂરી છે.
ભાસ્કર નોલેજ:શિયાળુ પાક માટે 5 દિવસમાં 2500ધરતીપુત્રોને પ્રાકૃતિક ખેતીની તાલીમ
ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોને રાસાયણિક ખાતર અને જંતુનાશક થી મુક્ત ખેતીની વૈજ્ઞાનિક પદ્ધતિથી માહિતગાર કરવા માટે ભરૂચ આત્મા પ્રોજેક્ટ તરફથી શિયાળુ પાકોની પ્રાકૃતિક ખેતી અંગે વ્યાપક ઓરિએન્ટેશન તેમજ જાગૃતિ માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 17 નવેમ્બરથી ચાલી રહેલી તાલીમમાં ઘઉં, ચણા તથા શાકભાજી અને કઠોળ જેવા પાકની પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ, બીજ સંસ્કારમાં બીજામૃતનો ઉપયોગની માહિતી અપાય હતી. સાથે જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતા વધારવા માટે જીવામૃત, ઘન જીવામૃતની બનાવટ અને ઉપયોગ સાથે આચ્છાદન પદ્ધતિઓ, ખેતરમાં જૈવ વિવિધતા વધારવા જેવા મહત્વના વિષયો પર વિશેષજ્ઞોએ માર્ગદર્શન આપ્યું હતું. સાથે પ્રત્યક્ષ રીતે આપવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં 20 ક્લસ્ટરના ગામના 125 મુજબ 2500 ખેડૂતોને રવિ સિઝન માટેની જિલ્લા અંદરની તાલીમો આપવામાં આવી છે. તાલીમ શરૂ કરતાં પહેલાં તાલીમાર્થીઓને સ્વદેશી અપનાવવા અને આત્મનિર્ભર બનવા અંગેના શપથ પણ લેવડાવવામાં આવી રહી છે. આમ અંદાજે 12 દિવસમાં 7 હજારથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તાલીમ માં આવરી લેવામાં આવશે. પ્રાકૃતિક ખેતીમાં તૂવેર, ભીંડા, શેરડી તેમજ કેળાનું વાવેતર વધુ કરાય છેભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે 20772 હેક્ટર વિસ્તારમાં 24524 ખેડૂતોએ પ્રાકૃતિક રીતે ખેતી પાક કર્યો છે. જિલ્લામાં પ્રાકૃતિક પદ્ધતિથી તુવેર, ભીંડા, શેરડી તેમજ કેળા જેવા પાકો કરવામાં આવે છે. તેમજ ખેડૂતોએ ઉગાડેલા આ પાકોને સારો ભાવ મળી રહે તે માટે જિલ્લામાં કુલ 49 વેચાણ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા છે. જ્યારે પ્રાકૃતિક રીતે ઉગાડેલી સામગ્રીનું વેચાણ કરવામાં આવે છે.
ક્રિકેટના સટ્ટાની મોબાઇલ એપ્લિકેશન સાથે સંકળાયેલા અને રોલિંગ મિલ ધારકને ત્યાં ડાયરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (ડીજીજીઆઇ) દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ, અને અધિકારીઓ દ્વારા હિસાબી સાહિત્યની ચકાસણી, મોબાઇલ સહિતના ડેટા અને અગાઉ અન્ય જગ્યાએથી મળેલી લિન્કની વિગતો એકત્ર કરવામાં આવી હતી. થોડા સમય અગાઉ કોલકત્તાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇ.ડી.) દ્વારા ક્રિકેટના સટ્ટાની મોબાઇલ એપ્લિકેશન બાબતે ભાવનગરમાં ખાંખા-ખોળા કરવામાં આવ્યા હતા, અને તે સમયે અભય બની અધિકારીઓ સાથે શાબ્દિક ઘર્ષણ કરનારા શખ્સના ડિજીટલ ડેટામાંથી તંત્ર દ્વારા અનેક કનેકશનો શોધી કાઢવામાં આવ્યા હતા, અને આ મામલાની અન્ય તપાસ દુબઇ સુધી પણ લંબાઇ છે. અમદાવાદ ડીજીજીઆઇને પણ જીએસટી કરચોરી અંગેની માહિતી મળતાની સાથે જ ભાવનગરના કાળીયાબિડ વિસ્તારમાં નિવાસ્થાન ધરાવતા રોલિંગ મિલ માલીકને ત્યાં કાર્યવાહી કરવામાં આવી હતી, અને અધિકારીઓએ અલગ અલગ ટુકડીઓ બનાવી અને રોલિંગ મિલ ખાતે પણ તપાસ કરી હતી. ડીજીજીઆઇ દ્વારા ભાવનગર ખાતે કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન ડિજીટલ ડેટા, હિસાબી સાહિત્ય અને ક્રિકેટ સટ્ટાની એપ સાથે શું કનેકશન છે તેના અંગે તલસ્પર્શી ચકાસણી કરવામાં આવી હતી. રોલિંગ મિલ ધારકના પુત્રના મિત્રની સંડોવણી ક્રિકેટ સટ્ટાના વિદેશી લોકો સાથે પણ છે, અને દેશની વિવિધ એજન્સીઓ પણ તે દિશામાં તપાસ કરી રહી છે. અગાઉ પણ તેને ત્યાં તપાસ કરવામાં આવેલી હતી. ડીજીજીઆઇની કાર્યવાહી અંગે જીલ્લાના રોલિંગ મિલ ઉદ્યોગના માલીકોમાં પણ ભારે ચર્ચાઓ થઇ રહી હતી.
વેધર રિપોર્ટ:17.8 ડિગ્રીએ ઠંડીમાં રાહત
શહેરમાં બે દિવસથી ઠંડીની તીવ્રતામાં ઘટાડો થતો જાય છે. આજે શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન વધુ એક ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 17.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. આથી રાત્રે અને વહેલી સવારે ઠંડીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. મહત્તમ તાપમાન ગઇ કાલે 30.3 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે ઘટીને 29 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 16.8 ડિગ્રી હતુ તે આજે વધીને 17.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. આજે સવારે પવનની ઝડપ 4 કિલોમીટર હતી તે સાંજે વધીને 8 કિલોમીટર થઇ ગઇ હતી. જ્યારે સવારે હવામાં ભેજનું પ્રમાણ 81 ટકા હતુ તે સાંજે 50 ટકા નોંધાયું હતુ.
રજૂઆત:એક દિ' માટે એસઆઇઆરની ઓન. કામગીરીથી મુકિત આપો
રાજ્ય શિક્ષક સંઘના પ્રમુખ ના આદેશ મુજબ ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે કોડીનાર તાલુકાના શિક્ષક બીએલઓની કામગીરીના દબાણના કારણે આત્મહત્યા કરી હતી. જેને લઈને એક દિવસ માટે બીએલઓને એક દિવસ માટે એસઆઈઆરની ઓનલાઈન કામગીરી મોબાઇલમાં ન કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. જેને શિક્ષક સંઘ તરફથી સમર્થન આપવામાં આવ્યું હતું. જોકે ફોર્મ વિતરણ કરવું અને ફરી લેવાની કામગીરી કરવામાં આવી હતી. શિક્ષક સંઘે વધુમાં જણાવ્યુ હતું કે, બીએલઓની કામગીરી માટે જિલ્લામાં કોઈ પણ અધિકારી દબાણ ના કરે એનું ધ્યાન રાખીશું એક બીજાના સંકલનમાં રહીશું. આચાર્ય બીએલઓની કામગીરી કરતા ભાઈ બહેનો ને અન્ય કામગીરી માટે દબાણ નહીં કરે તેવું જંવવામાં આવ્યું હતું. તાલીમ ભવન તરફથી હાલ કોઈ પણ તાલીમ ના રાખવામાં આવે તે માટે પ્રાચાર્યને પણ રજુઆત કરવામાં આવી છે.
સ્કિઝોફ્રેનિયા રોગની શિકાર બની મહિલા:મહુવાની મહિલાએ 1 ફૂટનો છરો પેટમાં ભોંકી દીધો
ભાવનગર સર ટી. હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં રોજીંદા વિવિધ પ્રકારના કેસોના દર્દીઓ સારવાર્થે આવતા હોય છે. સર ટી. હોસ્પિટલના સુપર મલ્ટી સ્પેશિયાલિસ્ટ બિલ્ડિંગમાં ગઈકાલે શુક્રવારે મોડીરાત્રે સ્કિઝોફ્રેનિયા (એક પ્રકારનો માનસિક રોગ) પીડિત દર્દીના અસામાન્ય વર્તન સાથે અનોખા કિસ્સામાં મહુવાની આધેડ મહિલાએ એક ફૂટનો ધારદાર છરો પોતાના પેટમાં ઉતારી દેતા સારવાર્થે લવાઈ હતી. ધારદાર છરાને કારણે આંતરડા નસોને ભારે નુકસાન થતા તબીબોની સઘન સારવાર બાદ મહિલાને ગંભીર સ્થિતિમાંથી ઉગારી લીધી હતી. મહિલાએ એક ફૂટનો ધારદાર છરો પોતાના પેટમાં ભોંકી દેતા સૌ પ્રથમ સ્થાનિક કક્ષાએ અને બાદમાં વધુ સારવાર માટે લવાઈ હતી. પેટના ઉપરના ભાગથી ભોંકાયેલા ધારદાર છરાએ આંતરડા નસો સહિતના આંતરિક ભાગોને ભારે નુકસાન થયું હતું. સર્જરી વિભાગના યુનિટ હેડ ડો. રાજન સોમાણીની દેખરેખ નીચે આસિ.પ્રોફેસર સર્જરી ડો.સ્મિત મહેતા અને જુનિયર તબીબોએ જટિલ કહી શકાય તેવા દોઢ કલાકના સફળ ઓપરેશન સાથે પેટમાંથી ધારદાર છરો બહાર કાઢ્યો હતો. સૌરાષ્ટ્ર સમાચાર નોલેજસ્કિઝોફ્રેનિયા માનસિક બીમારી શું છે ?સ્કિઝોફ્રેનિયા એ એક ગંભીર અને લાંબા સમય સુધી ચાલતી માનસિક બીમારી છે. જે વિચાર, ભાવનાઓ, વર્તન અને સામાજિક જીવન પર અસર કરે છે. જેનું પૂરું સારવારથી નિદાન ન થઈ શકે, પરંતુ યોગ્ય સારવારથી લક્ષણો નિયંત્રિત થઈ શકે છે અને વ્યક્તિ સામાન્ય જીવન જીવી શકે છે. સ્કિઝોફ્રેનિયા માનસિક બિમારી ધરાવતા દર્દીને આજીવન સુસાઈડ દર આશરે 10% છે ત્યારે આવા દર્દી હારા કિરી (વર્ષો પહેલા જાપાનમાં પેટ કાપીને કરાતી આત્મહત્યાનું એક સ્વરૂપ) પ્રકારે આત્મહત્યાનો પ્રયાસ કરે એ ખૂબ જ અસામાન્ય બાબત છે. મહિલા દર્દીએ અગાઉ પણ સુસાઈડ પ્રયાસ કર્યો હતોઆ કેસમાં મહિલા દર્દી 10 વર્ષથી સ્કિઝોફ્રેનિયાથી પીડાતું હતું. દવાઓ શરૂ હતી પણ અનિયમિત હોવાથી મહિલા દર્દીએ અગાઉ પણ સુસાઈડ પ્રયાસ કર્યો હતો. ડો.સ્મિત મહેતા, આસિસ્ટન્ટ પ્રોફેસર, સર્જરી વિભાગ, સર ટી. હોસ્પિટલ, ભાવનગર
ઠંડીમાં 20 દિવસથી સતત વધારો નોંધાયો:જિલ્લાનું તાપમાન ઘટતા ભેજનું પ્રમાણ વધી 44 થી 75 ટકા રહ્યું
ભરૂચ જિલ્લામાં ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે જેના કારણે લોકો ગરમ કપડાં પહેરીને વહેલી સવારે ઘરની બહાર નીકળી રહ્યા છે. ઠંડીના કારણે વહેલી સવારે શાળાએ જતા બાળકોએ પણ કડકડતી ઠંડીમાં ગરમ કપડાં પહેરી જવા મજબૂર બન્યા છે. તો બીજી તરફ ઠંડીથી રક્ષણ મેળવવા માટે કેટલાક વિસ્તારમાં લોકો તાપણું કરી રહ્યા નજરે પડ્યા હતા. આમ અંદાજે છેલ્લા 20 દિવસથી ઠંડીમાં સતત વધારો થઈ રહ્યો છે. આમ દિવસ દરમિયાન જિલ્લાનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ઘટીને 14 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ વધી 44 થી 75 ટકા અને પવનની ગતિ 14 કિમી પ્રતિ કલાકની રહી હતી. વાતવરણનો લાભ લઇ કંપનીઓ ગેસ પણ છોડી રહી છે.
સન્ડે ફોટો સ્ટોરી:ભરૂચની નર્મદા નદી પર 1877થી 2025 સુધી 10 નવા બ્રિજનું નિર્માણ
ભરૂચ જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી પર 1877થી 2025 સુધીમાં 10 નવા બ્રિજ બન્યાં છે. જેમાંથી 9ની કામગીરી પૂર્ણ થઇ છેે જયારે એકની કામગીરી ચાલી રહી છે. અંગ્રેજ શાસન કાળમાં 1877માં ગોલ્ડનબ્રિજના નિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. ગોલ્ડનબ્રિજ બાદ સિલ્વર બ્રિજ, જૂનો સરદાર બ્રિજ, નવો સરદાર બ્રિજ, કેબલ સ્ટેઇડ બ્રિજ, નર્મદા મૈયા બ્રિજ, અશા- માલસર બ્રિજ, દિલ્હી- મુંબઇ એકસપ્રેસ હાઇવે પર કેબલ સ્ટેઇડ બ્રિજ અને રેલવેનો ફ્રેઇટ કોરીડોર બ્રિજ બની ચૂકયાં છે. હાલ કુકરવાડા પાસે બુલેટ ટ્રેનનો બ્રિજ આકાર લઇ રહયો છે. મુંબઇ અને દીલ્હીને જોડતા નેશનલ હાઇવે નંબર 48 ઉપર પણ વડોદરાથી સુરત તરફ જતી લેનમાં નવો કેબલ સ્ટેઇડ બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ભાસ્કર ગાઈડ:ભરૂચમાં જ્યોતિનગર ટર્નિંગ પાસેથી હયાત હોટલ સુધીનો માર્ગ ભારે વાહનો માટે બંધ
ભરૂચના જયોતિનગર ટર્નિંગથી હયાત હોટલ તરફ આવતાં રસ્તાને ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. ભોલાવથી મકતમપુરને જોડતાં રોડને પેવર બ્લોકથી બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવનાર હોવાથી વહીવટીતંત્ર તરફથી જાહેરનામુ બહાર પાડી ડાયવર્ઝન રૂટ જાહેર કરાયો છે. હયાત હોટલની સામેથી જયોતિનગર તરફ જતાં રસ્તાનું નવીનીકરણ કરવામાં આવશે અને આ રસ્તાને પેવર બ્લોકથી બનાવવામાં આવશે. આ રસ્તા પરથી દિવસે તથા રાત્રે વાહનોની અવરજવર રહેતી હોવાથી કામગીરીમાં અવરોધ ઉભો થઇ શકે તેમ છે. આ કારણોને ધ્યાને રાખી જયોતિનગરથી હયાત હોટલ તરફ આવતાં રોડ પરથી ભારદારી વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકી દેવાયો છે. 22મી ડિસેમ્બર સુધી વાહનચાલકોએ જાહેરનામાનો અમલ કરવાનો રહેશે અને જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાંં આવશે. બે લેનના રોડ પર એક લેનમાં પેવરબ્લોકની કામગીરી કરવામાં આવશે અને બીજી લેનમાંથી મોપેડ, સ્કૂટર સહિતના નાના વાહનો અવરજવર કરી શકશે. ભારે વાહનોને બે કિમી જેટલો ફેરાવો ફરવો પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ લીંક રોડ પર પાણીના પાઇપલાઇનની કામગીરી ચાલી રહી હોવાથી માર્ગને વન વે જાહેર કરવામાં આવતાં ટ્રાફિકની સમસ્યાનું સર્જન થઇ રહયું છે. ટ્રાફિકને હળવો બનાવવા માટે જયોતિનગરથી હયાત હોટલ સુધીના સંજય કોલોનીવાળા રોડને નાના વાહનો માટે ખુલ્લો રાખવાનો નિર્ણય વહીવટી તંત્ર તરફથી લેવામાં આવ્યો છે.
કરુણ દુર્ઘટના:સાયણમાં સામાન સાથે ઉતરતા સમયે લિફ્ટ તૂટી પડતા બે કારીગરોનાં મોત
સાયણની ઇન્ડસ્ટ્રીમાં મશીન ચલાવવાનું કામ કરતા બે યુવકો લિફ્ટમાં નીચે આવતા હતા ત્યારે અચાનક લિફ્ટ તૂટતાં યુવકો પટકાતા મોત થયું હતું. આ ઘટનામાં રોષે ભરાયેલા કામદારોએ ફેકટરીના માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી. ઓલપાડના સાયણ ગામે અખંડ દીપ ઇન્ડસ્ટ્રી ખાતે સુરતના રહેવાશી પ્રકાશ જાસોલિયાનું અક્ષર ફેબ નામનું કારખાનું છે. છેલ્લા એક વર્ષથી TFO મશીન ચલાવવાનું કામ કરતા હાલ આદર્શ નગર સોસાયટી ખાતે રહેતા કિશન ઉમેશ કુશવાહા ( મૂળ રહે યુપી) અને રિકી હરેરામ મહોટો ( બિહાર )એ શનિવારની સાંજે ફેકટરીના ઉપરના માળથી લિફ્ટમાં સામાન લઈને નીચે આવતા હતા. ત્યારે અચાનક કોઈક કારણસર લિફ્ટ તૂટતા બને યુવકો લિફ્ટ સાથે નીચે જમીન પર પટકાયા હતા. આમ લિફ્ટ તૂટવાની સાથે પટકાયેલા યુવકો પૈકી રિકી મહતો ને શરીરે ગંભીર ઈજાઓ થઇ હોય તેને તાત્કાલિક સારવાર ન મળતા ઘટના સ્થળે મોત થયું હતું. જયારે ઘટના બન્યાના અરધા કલાક બાદ 108 દ્વારા કિશન કુશવાહાને સાયણ આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવતા સારવાર દરમિયાન તેનું પણ મોત થતા, લિફ્ટ તૂટવાની ઘટનામાં બન્ને યુવકોએ જીવ ગુમાવતા અન્ય કામદારો રોસે ભરાઈ પોલીસ ચોકી ખાતે ધસી આવ્યા હતા. ઘટનાની ફૂટેજના આધારે તપાસની માંગ કરાઇજયારે લિફ્ટ તૂટવાની બે યુવકનું મોત થવાની ઘટનામાં પોલીસ કડક હાથે કાર્યવાહી કરવાને બદલે ભીનું સંકેલવાની પેરવીમાં હોવાની મરનારના સંબંધીઓ અને અન્ય કામદારોને ભનક લાગી જતા પહેલા ઘટનાના CCTV ફૂટેજ તથા ઘટના સ્થળે જઈને વિગતવાર સાચી માહિતી મેળવી જવાબદાર ફેકટરીના માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરતા પોલીસે રજુઆત મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
ખાખી શર્મસાર થઈ:બાકોર પોલીસ મથકનો કોન્સ્ટેબલ રાજસ્થાનથી બૂટલેગર મિત્રના દારૂ હેરાફેરી કરતા ઝડપાયો
બાકોર પોલીસ મથકમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ બુટલેગર મિત્રના દારૂની હેરાફેરી કરતા ડીટવાસ પોલીસના હાથે રંગેહાથે ઝડપાઇ જતા ઘટનાએ પોલીસ વિભાગની પ્રતિષ્ઠા પર સવાલો ઉભા કર્યા હતા. પોલીસે દારૂના જથ્થા સાથે કુલ રૂા.1,22,142 નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ કોન્સટેબલ તથા બુટલેગર સામે ગુનો નોંધ્યો છે. મહીસાગર જિલ્લામાં ખાખીની પ્રતિષ્ઠા પર દાગ લાગે તેવી કિસ્સો સામે આવ્યો છે. જેમાં જિલ્લાના બાકોર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ સોલંકી લવાના ગામના પોતાના બુટલેગર મિત્ર કનુ માલીવાડનો વિદેશી શરાબનો જથ્થો રાજસ્થાનની સરહદમાંથી મહીસાગરમા ધુસેડવા બુટલેગર મિત્રની અલ્ટો કાર જી.જે.07-3351માં વિદેશી શરાબની 7 પેટીઓ મૂકીને રાજસ્થાનની સરહદ ઓળંગી ત્યાંથી ડીટવાસ ચેકપોસ્ટ વટાવી મહીસાગર જિલ્લામાં દાખલ થવાનો હતો. ત્યારે ડીટવાસ પોલીસને મળેલ બાતમીના આધારે મોટી રાઠથી ઘાસવાડા રોડ ઉપર જઈ રહેલ આ અલ્ટો કાર રાકાકોટ ચોકડી પાસે પોલીસે ઘેરાબંધી કરીને ઝડપી પાડતા બાકોર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલનો ખાખી પાછળનો બુટલેગર ચહેરો બહાર આવતા મહીસાગર પોલીસ તંત્રમા સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.જ્યારે ડીટવાસ પોલીસ તંત્રની ટીમના હાથે રંગેહાથ હેડ કોન્સ્ટેબલ ઝડપાઈ જતા ખાખી સમર્શર થઈ હતી. ડીટવાસ પોલીસે દારૂના જથ્થા સાથે કુલ રૂા.1,22,142 નો મુદ્દામાલજ્પત કરી ઝડપાયેલ કોન્સટેબલ તથા બુટલેગર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. દારૂનો કાયદો કડક બન્યો છે મહીસાગર જિલ્લામાં એસપી તરીકે શફી હશને ચાર્જ સંભાળતા દારૂબંધી કાયદો કડક બન્યો છે. જિલ્લામા દારૂની હેરાફેરી કરતા અને દારૂનું વેચાણ કરતા બૂટલેગરો ભૂગર્ભ ભેગા થયા છે. અગાઉ અન્ય જિલ્લાના દારૂ રસિયાઓ મહીસાગર તરફ દોડી આવતા હતા. પરંતુ નવા એસપી ના આગમન બાદ ઉલટી ગંગા જોવા મળી હતી. અત્યારે મહીસાગરના દારૂ રસિયાઓ અન્ય જિલ્લામાં દારૂની મેજબાની માણવા પહોંચી છે. ત્યારે જિલ્લામા દારૂ બંધીનો અમલ સખ્તાઇ પૂર્વક થઈ રહ્યું હોવાનું સ્પષ્ટ દેખાય રહ્યું છે.
કાપોદ્રા હીરાબાગ વિસ્તારમાં રહેતા યુવકે તેના મિત્રની પત્નીને ઘેની પદાર્થ સુંઘાડી બળાત્કાર ગુજાર્યા ની ફરિયાદ કાપોદ્રા પોલીસમાં નોંધાઇ છે. પરિણીતાનો બીભત્સ ફોટો અને વીડિયો ઉતારી વાયરલ કરીને પાંચ મહિનાથી બળાત્કાર ગુજારતો હતો. પાસોદરા રહેતી પરિણીતાએ પ્રેમલગ્ન કર્યા હતા. વર્ષ 2021માં આ દંપતિ પોતાના બાળક સાથે કાપોદ્રા ખોડીયારનગરમાં રહેવા આવ્યું હતું. ત્યારે પરિણીતાના પતિની સોસાયટીમાં રહેતા ગૌતમ વલ્લભ વાઘેલા સાથે પરિચય થયો હતો અને બાદમાં તેમની વચ્ચે પારિવારીક સબંધ બંધાયો હતો. જોકે, ત્યારેથી ગૌતમ પરિણીતાની પાછળ પડ્યો હતો. બાદમાં તેણી પરિવાર સાથે પાસોદરા રહેવા ગઇ હતી. પાંચેક મહિના પૂર્વે પરિણીતા ઘરમાં એકલી હતી ત્યારે ગૌતમે કારની ચાવી માંગી હતી. બાદમાં તેણે પાણી માંગતા પરિણીતા રસોડામાં ગઇ હતી. ત્યારે તેની પાછળ જઇને ગૌતમે તેણીને ઘેની પદાર્થ સુંઘાડી બેભાન કરી દીધી હતી. પરિણીતા બેભાન થઇ જ તેના પર બળાત્કાર કર્યા હતો. સુવાવડ સમયે તેણીને બ્લીડીંગ થવા લાગ્યું હતું. ગૌતમે આ સમયે તેણીનો બીભત્સ વીડિયો ઉતારી લઇ થોડા દિવસ બાદ વાયરલ કરવાની ધમકી આપી હતી. વીડિયો ડિલીટ કરવા સેલ્ફીની શરત મૂકી હતી. સેલ્ફી લઇને ગૌતમ જતો રહ્યો હતો. થોડા દિવસ બાદ આવી તેણે તેના પતિ સાથે છૂટાછેડા લઇ પોતાની સાથે લગ્ન કરવા દબાણ કરી ધમકી આપી હતી. પરિણીતાએ પતિને ગૌતમ અંગેની જાણ કરી હતી. જેમાં ફરિયાદ કરતાં કાપોદ્રા પોલીસે બળાત્કારનો ગુનો નેાંધી તપાસ શરુ કરી છે.
ભાસ્કર ઈનસાઈડ:શૈક્ષણિક સંસ્થાઓ આસપાસ ગંદકી, ઈદગાહમાં છાત્રોના આરોગ્ય સાથે ચેડાં
ગોધરા ગોન્દ્રા વિસ્તાર પાસે આવેલ ઇદગાહ ખાતે આવેલ નવી વસાહત ખાતે પાલિકાએ કન્ટેનર મૂક્યા છતાં ગંદકી બેફામ ફેલાતા, રોગચાળાની ભીતિ વચ્ચે વિદ્યાર્થીઓને સવાર-સાંજ ઉકરડા પરથી પસાર થવું પડે છે. વસાહતના રહીશો અને ખાસ કરીને વિદ્યાર્થીઓના આરોગ્ય પર મોટો ખતરો તોળાઈ રહ્યો છે. ગોધરા ઇદગાહ નવી વસાહતના રહીશો પાછલા ઘણા સમયથી નર્ગાકાર જેવું જીવન જીવવા મજબુર બન્યા છે. મુખ્ય માર્ગો પર અનિયમિત સફાઈ અને ગેરવ્યવસ્થાને કારણે ઠેર-ઠેર કચરાના ઢગલાઓ થઈ ગયા છે. આ ઉકરડાઓ નજીકમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓ અને ધાર્મિક સ્થળોના મુખ્ય પ્રવેશ માર્ગો પર જ ફેલાયેલા છે, જેથી સ્થાનિકો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી વેઠવી પડે છે. સવાર-સાંજ અભ્યાસ માટે શાળાએ જતા સેંકડો વિદ્યાર્થીઓને આ ગંદકીના ભરમાર વચ્ચેથી પસાર થવા મજબુર બન્યા છે. કચરા અને ઉકરડાને કારણે મચ્છરોનો ઉપદ્રવ ચરમસીમાએ છે, જેના પગલે સ્થાનિકોમાં રોગચાળાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓનું ભણતર અને તેમનું નિર્દોષ આરોગ્ય જોખમમાં મુકાયું છે. પાછલા ઘણા સમયથી પાલિકા તંત્રને અનેક રજૂઆતો કરવામાં આવેલછે છતાં સ્થિતિ ઠેર ની ઠેર છે જેથી વિસ્તારમાં રોષ ફેલાયો છે. સફાઇમાં મુળભુત ક્ષતિઓ જણાઇગોધરાના ઈદગાહ નવી વસાહતમાં સર્જાયેલી ઉકરડાઓની સમસ્યા માત્ર ગંદકીનો મુદ્દો નથી, પરંતુ તે સ્થાનિક તંત્રની પ્રાથમિકતાઓ અને કાર્યક્ષમતા પર ગંભીર સવાલ ઊભો કરે છે. મુખ્ય માર્ગો પર, અને ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ જ કચરાના ઢગલા થવા એ સૂચવે છે કે સફાઈ વ્યવસ્થાપનમાં મૂળભૂત ક્ષતિઓ છે.
સસરાએ કરી જમાઈની હત્યા:‘મારી દીકરીને કેમ હેરાન કરે છે’ સસરાએ જમાઇને રહેંસી નાખ્યો
ભરીમાતા રોડ પર ‘તું મારી દીકરીને કેમ હેરાન કરે છે’ કહીને સસરાએ જમાઇ પર સસરાએ ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી. ચોકબજાર ભરીમાતા રોડ પર નહેરૂનગરમાં રહેતા નજીઉલ્લા શાહની પુત્રીના લગ્ન બે વર્ષ પૂર્વે યુપીના રસુલપુર રહેતા સલમાન શાહ સાથે થયા હતા. ત્રણેક મહિના પહેલા સલમાન પત્ની સાથે સુરત આવી નહેરુનગરમાં સસરાના મકાનની બાજુમાં રહેતો હતો. સલમાન કલરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. 21મી નવેમ્બરે સલમાન અને તેની પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેથી દિકરીએ કહેતા પિતા નજીઉલ્લા ઉશ્કેરાયો હતો અને જમાઇને તું મારી દિકરીને કેમ હેરાન કરે છે. કહીને ઠપકો આપતા તેમની વચ્ચે બોલાચાલી થઇ હતી. જેથી સસરા નજીઉલ્લા ચપ્પુ લાવી સલમાનની છાતી પર ઉપરાછાપરી ઘા મારી હત્યા કરી નાખી હતી. પોલીસે લાશને પીએમ માટે હોસ્પિટલ ખસેડી હતી. મૃતકના કાકા તોસીફ શેખે ચોકબજાર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી સસરાની ધરપકડ કરી છે. દંપતી વચ્ચે પૈસા મુદ્દે ઝઘડોબેકાર પિતાને પૈસા આપવા માટે ઝઘડો થયો હતો. સલમાનનો સસરો નજીઉલ્લા છેલ્લા કેટલાક સમયથી બેકાર ફરતો હતો. સુરત આવ્યા બાદ નજીઉલ્લા ને ખર્ચ માટે પૈસા આપવા માટે પત્ની અવાર નવાર કહેતી હોવાથી તેમની વચ્ચે ઝઘડો થતો હતો. આ ઝઘડામાં સસરાએ સલમાનની હત્યા કરી નાખી હતી.
મૃતદેહ મળ્યો:કબીરપુર ગામે કેનાલમાંથી અજાણી વ્યક્તિનો મૃતદેહ મળ્યો
ગોધરા તાલુકાના કબીરપૂર ગામ પાસેની નર્મદા મુખ્ય કેનાલમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા પોલીસે અ.મોત નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રામાના મુવાડા ગામે રહેતા નવનીત બાબુભાઈ મહેરાએ કાંકણપૂર પોલીસમથકે અકસ્માતે મોત અન્વયે ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ સાવલી નજીક આવેલી સીએમઆર ગ્રીન ટેકનોલોજી ખાતે ફરજ બજાવે છે.21 નવેમ્બરના રોજ તેઓ પોતાની બાઈક લઈને પોતાના ઘરેથી કંપનીમાં જઈ રહ્યા હતા. જેમાં તેઓ ગોધરા તાલુકાના તુલસીગામથી વચ્છેસર તરફ જઈ રહ્યા હતા, જેમાં કબીરપૂર ગામ નજીક નર્મદા મુખ્ય કેનાલમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. જેને લઈને નવનીત મહેરાએ 112 હેલ્પલાઇન પર કૉલ કર્યો હતો, જે બાદ સેવાલિયા ખાતેની જનરક્ષક ટીમ આવી હતી, જે બાદ ફાયર બ્રિગેડની મદદથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જે અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ અંદાજિત 30 થી 40 વયનો હોવાનું સામે આવ્યું છે, જે અજાણ્યો ઇસમ અગમ્ય કારણોસર પડી ગયો હોવાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસે એડી નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
NEET PGનો પ્રથમ રાઉન્ડ:NEET PG પ્રથમ રાઉન્ડમાં 26 હજારથી વધુને સીટ એલોટ
મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC)એ NEET PG 2025 કાઉન્સેલિંગના પ્રથમ રાઉન્ડનું છેલ્લું સીટ એલોટમેન્ટ પરિણામ જાહેર કર્યું છે. MD અને MS કોર્સમાં પ્રવેશ માટે કાઉન્સેલિંગમાં ભાગ લેનારા ઉમેદવારો mcc.nic.in પર જઈ પોતાની એલોટમેન્ટ સ્થિતિ ચકાસી શકે છે. 23 નવેમ્બરથી દસ્તાવેજ ચકાસણી શરૂ કરાશેપ્રથમ રાઉન્ડમાં કુલ 26,889 ઉમેદવારોને સીટ એલોટ થઈ છે. જેમના નામ છેલ્લું એલોટમેન્ટ પરિણામમાં સમાવાયા છે, તે ઉમેદવારોએ 23 નવેમ્બરથી 1 ડિસેમ્બર 2025 દરમિયાન પોતાના એલોટ થયેલા કોલેજમાં હાજરી આપી દસ્તાવેજ ચકાસણી અને પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવી રહેશે. એલોટમેન્ટ પરિણામ કેવી રીતે ડાઉનલોડ કરવું? 1. mcc.nic.in પર જાઓ 2. હોમપેજ પર “Round 1 Allotment Result” પર ક્લિક કરો 3. PDF ફાઇલ ખુલશે 4. તેને ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢો રાઉન્ડ-2નું રજીસ્ટ્રેશન 2 ડિસેમ્બરથીજે ઉમેદવારોને પ્રથમ રાઉન્ડમાં સીટ ન મળી હોય તેઓ 2 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર સુધી રાઉન્ડ-2 માટે ઓનલાઇન નોંધણી કરી શકશે. • ચ્વોઈસ ફિલિંગ: 3 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર • રાઉન્ડ-2નું પરિણામ: 10 ડિસેમ્બર 2025 કામની વાત
ગુજરાતમાં 2030 કોમનવેલ્થ અને 2036 ઓલિમ્પિક માટે તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદમાં તો તેની તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે. હવે આ તૈયારીમાં ગુજરાતના અન્ય શહેરો પણ આગળ આવ્યા છે. ભાવનગરમાં યુવાઓ અલગ અલગ ગેમ્સ રમી શકે અને આગળ વધી શકે તે માટે મહાનગરપાલિકાએ 61 કરોડના ખર્ચે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં એક એક સ્પોર્ટસ કોમ્પલેક્સ બનાવવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં એક-એક સ્પોર્ટસ કોમ્પલેક્સનું નિર્માણ કરાશેભાવનગર શહેરમાં પૂર્વ વિસ્તારમાં એરપોર્ટ રોડ નજીક રૂવા ટી.પી. સ્કીમ નં.-8 માં 13,600 ચો.મી. એરિયામાં અંદાજિત રૂપિયા 28.57 કરોડના ખર્ચે તથા પશ્ચિમ વિસ્તારમાં ફુલસર ટી.પી.નં.2/એ માં 19000 ચો.મી. એરિયામાં અંદાજિત રૂપિયા 32.45 કરોડના ખર્ચે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બનાવવા ટેન્ડર પ્રક્રિયા થયેથી સરકારની સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ માંથી બંને સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવશે. આ બંને સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફલોર, ફર્સ્ટ ફલોર, ટેરેસ પર તથા બેઝમેન્ટ/લોઅર ગ્રાઉન્ડ ફલોરમાં વિવિધ ઇન્ડોર રમતો માટે આયોજન થયેલ છે. સ્પોર્ટસ કોમ્પલેક્સમાં કઈ કઈ રમતો માટે ગ્રાઉન્ડ હશે અને ખેલાડીઓ માટે અન્ય કઈ સુવિધા હશે તે ગ્રાફિક્સની મદદથી સમજીએ. શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન?આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરેમન રાજુ રાબડીયા જણાવ્યું હતું કે ભાવનગર મહાનગરપાલિકા શહેરીજનોને વિવિધ પ્રકારની તમામ સુવિધાઓ મળતી થાય તે અંગે સતત પ્લાનીંગ સાથે આગળ વધી રહ્યું છે. ભાવનગર શહેરના યુવાઓ તથા બાળકોને આગામી સમયમાં ઉચ્ચ કક્ષાનું તથા શ્રેષ્ઠતમ સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રકચર મળનાર છે ત્યારે શહેરમાં તમામ વયના લોકોને જરૂરિયાત મુજબની બધી જ સુવિધાઓ-સગવડતાઓ શ્રેષ્ઠ કવોલીટી સાથે મળતી થાય તે માટેના વિવિધ પ્રોજેકટસ અંગે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ભાસ્કર એક્સક્લૂસિવ:દાહોદમાં એક બીએલઓની દૈનિક સરેરાશ 6થી 9 કિ.મી.ની પદયાત્રા
ભારતીય લોકશાહીના પાયાને મજબૂત બનાવવાની કામગીરીમાં જોડાયેલા દાહોદ જિલ્લાના બૂથ લેવલ ઓફિસરની અથાક મહેનત હવે આધુનિક ટેક્નોલોજીના માપદંડો પર રેકોર્ડ થઈ રહી છે. ગ્રામ્ય વિસ્તારના બીએલઓની દૈનિક 'પદયાત્રા'ના આંકડાઓ સામે આવ્યા છે. ફોર્મ વિતરણ અને પરત લઇ મતદાર નોંધણી માટે તેઓ દિવસ દરમિયાન 6થી 9 કિમી પગપાળા પ્રવાસ કરી રહ્યા છે. દાહોદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં કાચા રસ્તાઓ, ખેતરો અને દૂર-દૂર વસેલા મકાનો વચ્ચે ફરજ બજાવતા કેટલાક બીએલઓ હવે તેમની દૈનિક કામગીરીનો ડેટા રેકોર્ડ કરી રહ્યા છે. આ માટે તેઓ તેમના હાથમાં સ્માર્ટ વોચ અથવા મોબાઈલમાં સ્ટેપ કાઉન્ટર એપ્લિકેશન ચાલુ રાખે છે. આ ટેક્નોલોજી દ્વારા મળેલા આંકડાઓ દર્શાવે છે કે આખા જિલ્લામાં એક બીએલઓ સરેરાશ દરરોજ 8000 થી13000 કરતાં વધુ સ્ટેપ્સ ચાલે છે. આ આંકડો સ્પષ્ટ કરે છે કે ગ્રામ્ય મતદારોને લોકશાહી પ્રક્રિયા સાથે જોડવા માટે બીએલઓ દિવસ દરમિયાન 6 થી 9 કિલોમીટર જેટલું અંતર ચાલીને કાપે છે. બીએલઓની આ દૈનિક પદયાત્રા માત્ર એક સરકારી કામગીરી નથી પરંતુ લોકશાહીના પાયાને મજબૂત કરવાની નિષ્ઠાનું પ્રતીક છે. આ જહેમત પાછળના મુખ્ય કારણોમાં શહેરોની જેમ અહીં કોમ્પેક્ટ સોસાયટીઓ હોતી નથી. મકાનો દૂર-દૂર છે. જેને કારણે દરેક મતદાર સુધી પહોંચવા માટે લાંબું અંતર કાપવું પડે છે.કોઈ પણ પાત્ર મતદાર નોંધણીથી વંચિત ન રહી જાય તે માટે દરેક ઘર સુધી રૂબરૂ જવું આવશ્યક છે. મતદારના ફોર્મની ખરાઈ, જરૂરી દસ્તાવેજો એકઠા કરવા અને ભૂલો સુધારવા માટે વ્યક્તિગત મુલાકાત જરૂરી બને છે. બીએલઓ દ્વારા કરવામાં આવતી આ ''પદયાત્રા'' એ વાતની સાબિતી આપે છે કે, ભારતીય ચૂંટણી પ્રણાલીમાં હજુ પણ મેન્યુઅલ અને રૂબરૂ ચકાસણીનું મહત્ત્વ કેટલું છે અને તળિયાના સ્તરના કર્મચારીઓ માનસિક ભારણ તેમજ અનેક આપદાઓ લોકશાહીના હિતમાં કેવો પરસેવો પાડી રહ્યા છે. ટેક્નોલોજી ઉત્સાહવર્ધક પરિબળસ્માર્ટ વોચ કે સ્પીડો મીટરનો ઉપયોગ કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે નથી પરંતુ તે તેમના સ્વ-પ્રેરણાનું એક સાધન છે. જ્યારે હું દિવસના અંતે મારા સ્ટેપ્સ અને કિલોમીટરનો આંકડો જોઉ છુ ત્યારે મને સંતોષ મળે છે કે તેમણે કેટલી મહેનત કરી છે. મારી માટે ટેક્નોલોજી ઉત્સાહવર્ધક પરિબળ બની રહી છે. મારા જેવા ઘણા મિત્રો સ્માર્ટ વોચ કે મોબાઇલમાં સ્પીડો મીટરનો ઉપયોગ કરે છે.- સુરજીત ઢાકિયા,બીએલઓ, ઝરીબુઝર્ગ
‘બુલેટ ટ્રેન, દિલ્હી–મુંબઈ કોરિડોર, હજીરા ખાતે બંદરની ઝડપી વિકાસ પ્રક્રિયા અને સુરત એરપોર્ટ પર આગામી 48 નવી ફલાઇટ્સ, આ બધા કામોને કારણે સુરત આગામી સમયમાં દેશના સૌથી વધુ કનેકિટવ સિટીમાં રૂપાંતરિત થશે. આગામી ત્રણ–ચાર મહિનામાં સુરતમાંથી 100 ફલાઇટ્સનું સંચાલન થવાનું આયોજન છે.’ ચેમ્બર ઓફ કોમર્સ અને સુરત ટેક્ષમેક ફેડરેશન દ્વારા સુરત ટેક્ષ્ટાઇલ મશીનરી એક્ષ્પો સીટેક્ષ– 2025’નું શનિવારે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ એક્સપો 24મી નવેમ્બર સુધી ચેમ્બર ઓફ કોમર્સ સરસાણા ખાતે યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા સુરતના પ્રથમ નાગરીક દક્ષેશ માવાણીએ આ વાત કહી હતી. ઉદ્યોગકારોને પ્રોત્સાહન મળશેસીટેક્ષ એકઝીબીશન વર્ષોથી ઉદ્યોગોને બિઝનેસ–ટુ–બિઝનેસ પ્લેટફોર્મ પૂરું પાડતું રહ્યું છે, ચેમ્બર દ્વારા આવા પ્રદર્શન અને કાર્યક્રમો દ્વારા ઉદ્યોગકારોને સતત પ્રોત્સાહન આપવાની પરંપરા આગળ પણ જળવાશે.’ > અશોક જીરાવાલા, ઉપપ્રમુખ, ચેમ્બર વૈશ્વિક કનેકિટવિટીને ગતિ મળશેસીટેક્ષ એકઝીબીશન સુરતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી તેમજ સુરતના ઉદ્યોગોના વિકાસ અને વૈશ્વિક કનેકિટવિટીને ગતિ આપતું મહત્વપૂર્ણ માધ્યમ છે. ઉદ્યોગકારો દ્વારા અપનાવાતી નવીનતા સુરતને વૈશ્વિક ટેક્સટાઈલ હબ તરીકે વધુ સશક્ત બનાવશે. > નિખિલ મદ્રાસી, પ્રમુખ, ચેમ્બર દર પંદર દિવસે રાજ્યની કોઈ એક મહાપાલિકાની ટીમ સુરતના મોડેલનું શીખવા અને અભ્યાસ કરવા માટે મુલાકાતે આવે છેસુરત શહેરના મેયર દક્ષેશ માવાણીએ કહ્યું હતું કે, ‘સુરતની ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રી નવી મશીનરી અને આધુનિક ટેકનોલોજી સાથે આગામી સમયમાં સુરત શહેરના વિકાસમાં અત્યંત મહત્વપૂર્ણ ફાળો આપશે. પાંચ વર્ષમાં સુરતનું જીડીપી ડબલ થશે, કારણ કે સુરત જેટલું કનેકટીવિટી નેટવર્ક દેશના અન્ય કોઈ શહેર પાસે નથી. દોઢ વર્ષમાં સુરત શહેરે 15 નેશનલ એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. દેશમાં વાયુ સર્વેક્ષણ, પાણી, સ્વચ્છતા, તેમજ રેઇન વોટરને ભૂગર્ભમાં સુરત પ્રથમ નંબરે રહ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેકટની પ્રગતિ માટે ભારત સરકારના રેલ્વે મંત્રી માત્ર એક જ મહિનામાં ત્રણ વખત સુરતની મુલાકાતે આવી ગયા છે. દર 15 દિવસે કોઈ એક મહાપાલિકા સુરતના મોડેલને શીખવા માટે અને અભ્યાસ કરવા માટે અહીં આવી રહે છે.
ભાસ્કર ફોલોઅપ:પંચમહાલમાં ઠંડીનો ચમકારો ઓછો થયો
પંચમહાલ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાતા આકરી ઠંડીમાં લોકોને આંશિક રાહત મળી છે. ગત સપ્તાહમાં લઘુત્તમ તાપમાન 15થી 16 ડીગ્રીની આસપાસ રહેતું હતું. પરંતુ હવે તેમાં વધારો થઈને શનિવારે ગોધરાનું લઘુત્તમ તાપમાન 17 ડીગ્રી અને મહત્તમ તાપમાન પણ સામાન્ય રીતે 30 ડીગ્રીની આસપાસ નોંધાયેલું જોવા મળ્યું હતું. જેના કારણે બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. પરંતુ વહેલી સવારે અને રાત્રીના સમયે હજુ પણ સામાન્ય ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. અચાનક તાપમાનમાં થયેલા આ વધારાથી શિયાળાની શરૂઆતમાં જ ઠંડીની અસર થોડી ઓછી થવા પામી છે. ઠંડીના જોરમાં આવેલા આ અચાનક ઘટાડાથી ખાસ કરીને ખેડૂતો અને રોજીંદા કામકાજ માટે બહાર નીકળતા લોકોને થોડી રાહત મળી છે. આગામી બે દિવસ સુધી તાપમાનમાં આ વધારો જળવાઈ રહેવાની શક્યતા છે. જોકે ત્યારબાદ ઉત્તરીય પવનો ફરી જોર પકડશે તો ઠંડી ફરી વધશેનુ હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. ઠંડીમાં ઘટાડાના કારણોઉત્તર ભારતના પવનોની અસર ઘટવાનાકારણે શિયાળામાં ગુજરાત અને પંચમહાલમાંઠંડીનું મુખ્ય કારણ ઉત્તર ભારત, હિમાલયઅને કાશ્મીર તરફથી આવતા બરફીલા, સૂકાઅને ઠંડા ઉત્તરીય / ઉત્તર-પૂર્વીય પવનો હોયછે. જ્યારે વાતાવરણમાં કોઈ ફેરફાર થાય છે.જેમ કે પશ્ચિમી વિક્ષોભ અથવા અરબી સમુદ્ર /બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવી. ત્યારે આઠંડા પવનોની દિશા બદલાઈ જાય છે .
હીરા ઉદ્યોગપતિનો 18 વર્ષીય પુત્ર સંયમના માર્ગે, જશ મહેતા હવે પરમ સત્યની શોધમાં દીક્ષા ગ્રહણ કરશે. પાલ ખાતે આજે જશ મહેતાની વર્ષીદાન યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આચાર્ય યશોવિજયસૂરિ મહારાજની નિશ્રામાં દીક્ષા ગ્રહણ કરી સંયમ માર્ગે પ્રયાણ કરશે. શહેરના જાણીતા હીરા ઉદ્યોગપતિ જતીનભાઈ મહેતાના 18 વર્ષીય પુત્ર જશ મહેતાએ સંસારના તમામ સુખોને ત્યજીને સંયમનો કઠિન માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો છે. જશને લક્ઝુરિયસ જીવનશૈલી, મોંઘા આઇફોન અને ખાસ કરીને રિયલ ડાયમંડની ઘડિયાળો અને જ્વેલરીનો જબરદસ્ત શોખ હતો. તે હવે બધું ત્યજીને મોક્ષના માર્ગે નીકળી રહ્યો છે.
દંડનીય કાર્યવાહી:7 માસમાં ટિકિટ વગરના મુસાફરોને 122 કરોડનો દંડ
પશ્ચિમ રેલ્વેએ એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન 1.9 મિલિયન ટિકિટ વગરના અને અનિયમિત મુસાફરો પાસેથી રેકોર્ડ 121.67 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો. આ આવક રેલવે બોર્ડ દ્વારા નિર્ધારિત લક્ષ્યાંક કરતાં 14% વધુ છે. વધુમાં, આ સિદ્ધિ પાછલા વર્ષ કરતાં 51% વધુ છે. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકના જણાવ્યા અનુસાર, ફક્ત ઓક્ટોબરમાં જ 24 કરોડ રૂપિયાથી વધુ રકમ વસૂલવામાં આવી હતી. અગાઉ, મે ૨૦૨૨માં ૨૬ કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. અમદાવાદ ડિવિઝન દ્વારા 50,000 મુસાફરો સામે કાર્યવાહી કરીને 4 કરોડ રૂપિયાથી વધુ રકમ વસૂલવામાં આવી હતી.
ભાસ્કર ઈનસાઈડ:ગોધરામાં ના.મામલતદારે 200 ફોર્મનો ટાર્ગટ આપતાBLOની ફેસબુક લાઇવ કરી આત્મહત્યાની ચીમકી
ગોધરાના શિક્ષકે શનીવારે સવારે બીએલઓની કામગીરીમાં નાયબ મામલતદાર દબાણ કરીને એસઆઇઆરની કામગીરીનો ટાર્ગેટ આપતા શિક્ષકે ફેસબુક લાઇવ કરીને આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી હતી. જેના વહીવટી તંત્ર મામલો થાળે પાડવા ના.મામલતદારને અન્ય કામગીરી મુકી દેતા મામલો થાળે પડ્યો હતો. ગોધરા કોર્ટ પાસેની પ્રાથમિક શાળાના શિક્ષક વિનુભાઇ બામણીયાને બીએલઓની કામગીરી સોપવામાં આવી હતી. વીનુભાઇ રાતના બાર વાગ્યા સુધી ફોર્મ લઇને ઓનલાઇનની કામગીરી પણ કરતા હતા. ત્યારે શનિવારે સવારે ના ના.મામલતદારે કામગીરી નબળી હોવાથી ઝડપી કરવા દબાણ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. નાયબ મામલતદારે એક જ દિવસમાં 200 ફોર્મ ભરવાની કામગીરી સોપતા વિનુભાઇએ આટલી ઝડપી કામગીરી થઇ શકે તેમ ન હોવાનું કહેતા નાયબ મામલતદારે કામગીરી કરવાનું દબાણ કર્યા હોવાનો આક્ષેપ કરીને વિનુભાઇ બામણીયાએ ફેસબુક લાઇવ કર્યુ હતું. સોસિયલ મિડીયામાં વાઇરલ કર્યુ કે, એક નાયબ મામલતદારે મને કહ્યુ તારી 30 ટકા કામગીરી છે. તારે રોજના 200 ફોર્મ ભરવાના નહિ તો તને જોઇ લઇશ તેવી ધમકી આપે છે. જો મને કશુ થયું કે હુ આત્મહત્યા કરૂ તો તેના માટે નાયબ મામલતદાર સહિતના જવાબદાર રહેશે. લોકો ફોર્મ આપતા નથી. આ લોકો ચરબી કરે છે. હુ મારી નિષ્ઠાથી કામ કરૂ છું. જો મારી ધરપકડ કરશે તો હુ આત્મહત્યા કરીશ. તો જવાબદાર ચુંટણી પંચની રહેશે. હુ એક સરકારી શિક્ષક છું. મને મેન્ટલી હેરસમેન્ટ કરે છે. શિક્ષકો તમારા દલાલ નથી. રાત્રે બાર બાર વાગ્યા સુધી કામગીરી કરૂ છું. મારા વિસ્તારના 2002ની યાદીમાં નામ ન હોવાથી ફોર્મ આપતા નથી. તેમ છતા મને ટાર્ગેટ આપે છે. નાયબ મામલતદાર મને જેમ તેમ બોલી ગઇ છે. તેવુ સોસિયલ મિડીયામાં લાઇવ કરતા વહીવટી તંત્ર દોડતુ થયું છે. મામલાને લઇને તંત્ર દ્વારા ટાર્ગેટ આપનાર નાયબ મામલતદારને એસઆઇઆરની અન્ય કામગીરી સોપીને મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી. ત્યારે શિક્ષક સંધ દ્વારા રજુઆત કરી છે. મને મેન્ટલી હેરસમેન્ટ કરતા આત્મહત્યા કરવા ચીમકી આપીહુ બીએલઓની કામગીરી કરુ છુ.તમામ શિક્ષકો એસઆઇઆરની નિષ્ઠાપૂર્વક કામગીરી કરે છે. કોઇનું ઓછુ કે કોઇનુ વધારે થાય. આજે સવારે મારી જોડ કોઇ ભાવિકાબેન નામના નાયબ મામલતદારે મને કહ્યુ, આજે ને આજે 200 ફોર્મ કરવાનુ઼ કહેતા, મેં એ શક્ય નથી, તેમ કહ્યુ હતું. તેમ છતા મારી પર દબાણ કરતા હતા. અને મને મેન્ટલી હેરસમેન્ટ કરતા આત્મહત્યા કરવાની ચીમકી આપી હતી. મને કશુ થયું તો નાયબ મામલતદાર, ટાર્ગેટ આપનાર સહિત બધા જવાબદાર રહેશે. જો આવી જ રીતે દબાણ આપશે તો આત્મહત્યા નહિ પણ આંદોલન થશે. - વિનુ બામણીયા, શિક્ષક, બીએલઓ નાયબ મામલતદારને અન્ય કામગીરી સોંપી દેવાઇ છેગોધરાના પ્રાથમિક શિક્ષકે ફેસબુક લાઇવ કરીને એસઆઇઆરની કામગીરીમાં દબાણ કરતા આત્મહત્યા કરવાની ચીમકી આપતા અમે પ્રાંત અધિકારીને રજુઆત કરી છે. નાયબ મામલતદાર રોફ જમાવીને દબાણ કરતા કોઇ ઘટના બનશે તો જવાબદાર વહીવટી તંત્ર રહેશે. આવુ વર્તન નાયબ મામલતદાર ના કરે તેની રજુઆત કરી છે. તેમજ પ્રાંતે શાંતિથી કામગીરી કરવાની સૂચના આપી છે. રજુઆત કરતા નાયબ મામલતદારને અન્ય કામગીરી સોંપી દેવામાં આવી છે. કોઇ ઘટના બનશે તો પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ કામગીરીથી વેગળે રહેવાનું આહવાન કરુ છંુ. તમામે સંકલનથી કામ કરવુ જોઇએ.- મનજીભાઇ પટેલ, પ્રા.શિ.સંધ. 2002ની યાદીમાં મોટાભાગના મતદારોનાનામ મળતા ન હોવાથી કામગીરી પર અસરજિલ્લામાં અસઆઇઆરની કામગીરી કરવા 1479 બીએલઓમાંથી1100 જેટલા શિક્ષકો છે. ત્યારે બીએલઓ મતદાર પાસે પહોચે ત્યારેમતદાર પાસે અપુરતી માહીતી હોવાથી ફોર્મ ભરાતા નથી. તેમજ વર્ષ2002 ની મતદાર યાદીમાં મોટાભાગના મતદારોના નામ મળતા નથી.જયારે કેટલાક મતદારો ફોર્મ ભરીને વહેલીઆપતા નથી. જેથી બીએલઓની કામગીરી સમય મર્યાદા માં પૂર્ણ ન થતા બીએલઓની કામગીરીનો ગ્રાથ નીચેઆવતા તંત્ર દ્વારા એસઆઇઆરની કામગીરી ઝડપી કરવા દબાણ કરતા હોય છે. કારણે જિલ્લાની એસઆઇઆરનીકામગીરી 13 લાખ મતદારોમાંથી 4 લાખ મતદારોના ફોર્મ અપલોડ થયા છે. જેથી કામગીરી ઝડપી કરવા ઉપરથીદબાણ આતવા અધીકારીઓ બીએલઓ પર કામગીરી ઝડપી કરવા દબાણ કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે.
સુવિધામાં વધારો:આજથી બાંદ્રા અને પાલિતાણા વચ્ચે એક ખાસ ટ્રેનની બે ટ્રીપ
પશ્ચિમ રેલ્વે બાંદ્રા ટર્મિનસ અને પાલિતાણા વચ્ચે એક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવશે. આ ટ્રેનને ખાસ ભાડા પર બે ટ્રીપ માટે મંજૂરી આપવામાં આવી છે. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું હતું કે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન 23 નવેમ્બરથી ચાલશે. ટ્રેન નંબર 09009 બાંદ્રા ટર્મિનસ-પાલિતાણા સુપરફાસ્ટ સ્પેશિયલ 23 નવેમ્બરના રોજ સાંજે 7:25 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે સવારે 9:25 વાગ્યે પાલિતાણા પહોંચશે . પરત ફરતી વખતે, 09010 પાલિતાણા-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 24 નવેમ્બરના રોજ રાત્રે 8:30 વાગ્યે પાલિતાણાથી ઉપડશે અને બીજા દિવસે સવારે 10:45 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ખાસ ટ્રેન બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, બોટાદ, ધોળા, સોનગઢ અને સિહોર સ્ટેશનો પર ઉભી રહેશે.
વારી ગ્રુપ IT કેસ:ITનું સર્ચ હજી પણ યથાવત, જમીનોના સોદા કરનાર રાજુ શાહને ત્યાં તપાસ પૂર્ણ
વારી ગ્રુપ પર મુંબઇ આઇટીની ટીમ દ્વારા કરવામાં આવેલુ સર્ચ ઓપરેશન આજે પાંચમા દિવસે પણ યથાવત રહ્યું છે અને મોડી સાંજે તે પુરુ થાય એવી સંભાવના દેખાઈ રહી છે. અલબત્ત, જમીનોના સોદા કરનાર રાજેન્દ્ર ઉર્ફે રાજુ શાહને ત્યાં તપાસ પુરી થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આવકવેરા વિભાગે વારી ગ્રુપ સાથેના એક જ સોદા પર ધ્યાન કેન્દ્રિત કરતા અનેકને આશ્ચર્ય થયું છે. કેટલીક રકમ હવાલા મારફત ખેડૂતોને ચૂકવવામાં આવી હોવાથી આવનારા સમયમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) પણ સમગ્ર કેસમાં પ્રવેશી શકે છે. આ રકમ કોણે અને કોના કહેવાથી કયા દેશમાં હવાલો પાડીને ચૂકવી છે તેની માહિતી ઇડીની તપાસ બાદ જ સામે આવી શકે છે. સોદામાં જેટલી કેશ એટલી પેનલ્ટી હોય: એક્સપર્ટજે સોદા કેશમાં થાય છે તેમાં નિયમ સ્પષ્ટ છે કે જેટલી રકમ હોય તેટલી પેનલ્ટી ચૂકવવી પડે. મહત્તમ 20 હજારની ઉપર રોકડ ન અપાય. જો કોઈ સોદામાં આ લિમિટથી વધુ જે રકમ ચુકવવામાં આવી હોય તો તેની પર 100 ટકા પેનલ્ટી લાગે. > તિનિશ મોદી, સી.એ. ઇડીના કેસમાં સ્પે.પી.પી.વિશાલ ફળદુની નિમણૂકજિલ્લા ન્યાયાલયમાં એપીપી તરીકે ફરજ બજાવતા વિશાલ ફળદુની હાલ ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ)ના કેસોમાં સ્પેશિયલ પી.પી. તરીકે નિમણૂક કરવામાં આવી છે. એટલે સુરત સહિત સમગ્ર ગુજરાતના કેસોમાં તેઓ ઇડી તરફે હાજર રહી શકે છે. વારી ગ્રુપના આઇટીના કેસમાં ઇડીની એન્ટ્રી થાય તેવી સંભાવનાખેડૂતોને ચૂકવવામાં આવી હોવાથી આવનારા સમયમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) પણ સમગ્ર કેસમાં પ્રવેશી શકે છે. આ રકમ કોણે અને કોના કહેવાથી કયા દેશમાં હવાલો પાડીને ચૂકવી છે તેની માહિતી ઇડીની તપાસ બાદ જ સામે આવી શકે છે.
પ્રવાસન હબ:ચોટીલા પરિક્રમા માર્ગ, હામપુર વાવ, લોયાધામ, દસાડા સફારી પાર્કને વિકસાવવાની યોજના
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી, સભાખંડ ખાતે જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળોના વિકાસકામોની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકની શરૂઆતમાં જિલ્લાના વિવિધ પ્રવાસન સ્થળો અને યાત્રાધામોની અદ્યતન સૂચી તૈયાર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેથી વિકાસના આયોજનમાં સરળતા રહે. આ બેઠકમાં જિલ્લાના અનેક ધાર્મિક અને પર્યટન સ્થળોના વિકાસ માટે મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે યાત્રાધામ ચોટીલા મંદિર આસપાસ પરિક્રમા માર્ગ તૈયાર કરવો, ઝરિયા મહાદેવ મંદિર, મહર્ષિ તેજાનંદ યાત્રાધામ, સ્વામિનારાયણ મંદિર લોયાધામ, ઐતિહાસિક હામપુર વાવ, નારીચણા, હેમતીર્થ તથા દસાડા વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી સફારી પાર્ક જેવા સ્થળોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા અંગે વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત, યાત્રાધામ વિકાસના ભાગરૂપે સાયલા લાલજી મહારાજની જગ્યા અને ધામા શક્તિમાતા મંદિરનો સર્વાંગી વિકાસ કરવા અંગે પણ બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો. કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલે જિલ્લામાં પ્રવાસન પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા જિલ્લાની મુલાકાતે આવતા પ્રવાસીઓને ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવા માટે અધિકારીઓને સૂચના આપી હતી. યાત્રાધામ સ્થળોના વિકાસ માટે મળેલી નવી દરખાસ્તો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ સંદર્ભે જિલ્લા સંશોધન અધિકારી અલ્પેશભાઈ પટેલે તમામ અધિકારીઓને જિલ્લાના અન્ય કોઈ પણ ધાર્મિક કે પૌરાણિક સ્થળો કે જેનો વિકાસ કરવો અનિવાર્ય હોય, તેવા સ્થળોની વિગતવાર દરખાસ્ત નિયત નમુનામાં સત્વરે રજૂ કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં દસાડા ધારાસભ્ય પી.કે.પરમાર, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું, નિવાસી અધિક કલેક્ટર આર.કે. ઓઝા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
વરાછા રોડના ગરનાળાથી સુરત સ્ટેશન તરફ જતા 200 મીટરના વન-વે રોડને સુરત શહેર પોલીસે MMTH પ્રોજેક્ટના કામને લઈને બંધ કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. SITCO કંપની અહીં બ્રિજનું કામ કરવાની છે. માત્ર 200 મીટરનો રસ્તો આજથી અચોક્કસ સમય માટે બંધ થવાના કારણે 2 કિમી સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાશે. કારણ કે મેટ્રોના કારણે એલએચ ગરનાળું બંધ અને પોદ્દાર આર્કેડ વાળો રસ્તો સાંકડો એટલે 1 કિમી ફરીને જતા કલાકો થશે. આ રૂટ પરથી બીઆરટીએસ અને સિટી લીંકની 1000 બસ ચાલે છે, આ ઉપરાંત એસટીની પણ 800 બસ અહીંથી સેન્ટ્રલ બસ ડેપો પર આવે છે. લોકોને લાલ દરવાજાથી અમીષા હોટેલ થઈને 1000 મીટર વાહન ચલાવીને સ્ટેશન જવું પડશે. આવી જ રીતે વરાછાના ગરનાળાથી દિલ્હીગેટ તરફ જવા માગતા વાહનચાલકોને 500 મીટરની જગ્યાએ લાલ દરવાજા થઈ 1000 મીટર વાહન ચલાવવું પડશે, જ્યાં ખૂબ ટ્રાફિક પણ હશે. લંબે હનુમાન રોડ પણ બંધસુરત રેલવે સ્ટેશનની આજુબાજે MMTHનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે એટલે એલ. એચ. રોડ પણ લાંબા સમયથી બંધ છે. જેના કારણે અહીંના વિસ્તારના લોકોન સુરત શહેર તરફ આવવા હેરાન થવું પડે છે. આ બે રસ્તેથી જઇ શકાશે 1) વરાછાથી ખાંડબજાર ગરનાળા થઈને આવતા વાહનો સ્ટેશન તરફ જઈ શકશે નહીં, આ વાહનો આયુર્વદિક કોલેજથી સીધા લાલ દરવાજા થઈને અમીષા હોટેલ થઈ સીધા સુરત રેલવે સ્ટેશન સુધી જઈ શકશે. 2) ખાંડબજાર ગરનાળા થઈને આવતા અને દિલ્હીગેટ તરફ જવા માગતા વાહનો સ્ટેશન તરફના રોડથી જઈ શકશે નહીં, આ વાહનો આયુર્વેદિક કોલેજ થઈને લાલ દરવાજા થઈને ઓવરબ્રિજ અથવા તો ઓવરબ્રિજના નીચેના રસ્તાથી દિલ્હીગેટ તરફ આગળ વધી શકશે.
જાહેરનામાના ભંગ:વઢવાણના જુદા જુદા માર્ગો પરથી છરી સાથે 3 શખસ ઝડપાયા
વઢવાણ નવાદરવાજા બહાર વચલા કોળીપરામાંથી લાલાભાઈ સજાભાઈ વણોદીયાને છરી સાથે પોલીસે પકડી લીધા હતા. જ્યારે વઢવાણ માલધારી ચોકમાંથી વિપુલભાઈ વિનોદભાઈ કાવેઠીયાને છરી સાથે દબોચી લીધા હતા. ઉપરાંત વઢવાણ શિયાણી પોળ પાસેથી લક્ષ્મણભાઈ ઉર્ફે અંશુ ઉત્તમભાઈ રાફુકીયાને છરી સાથે પકડી લીધા હતા. આ શખસોને ઝડપી પાડવા માટે વઢવાણ શહેરી વિસ્તારમાં એએસઆઈ એ.વી. દવે, વી.એન. પરમાર, દિલીપભાઇ માલકીયા સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધરીને કામગીરી કરાઈ હતી. ત્રણેય શખસ સામે લોકોમાં ભયનો માહોલ ઉભો કરી જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાના ભંગો વઢવાણ પોલીસમાં ગુનો નોંધાયો હતો.
બાળકોના જીવ બચાવ્યા:ગાંધી હોસ્પિટલમાં પ્રસૂતિના 35 ટકા કેસોજોખમી, 10 માસમાં 293 કેસ અતિજોખમી
ગાંધી હોસ્પિટલમાં અતિ જોખમી પ્રસૂતિમાં 2025ના જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીમાં 293 કેસો આવ્યા હતા. આ સમયગાળામાં એકપણ પ્રસૂતાનું મોત ન થયાનું પણ બહાર આવ્યુ હતુ.આ અંગે સીડીએમઓ ડો. ચૈતન્યકુમાર પરમારે જણાવ્યું કે, પ્રસૂતિ મહિલાઓને સરકારી તમામ યોજનાના લાભો સાથે સારવાર આપવામાં આવે છે. જ્યારે પેથોલોજીસ્ટ ડો. હર્ષદ પ્રજાપતિએ જણાવ્યું કે, ગાંધીની બલ્ડ બેંકમાંથી છેલ્લા 10 માસમાં બ્લડ બેંકમાંથી 199 બોટલો પ્રસૂતિ મહિલાઓને અપાઇ હતી. બીજી તરફ આ હોસ્પિટલમાં પ્રસૂતિના અંદાજે 35 ટકા કેસો અતિ જોખમી આવતા હોવાની વિગતો બહાર આવી હતી. ત્યારે આવા જોખમી કેસો માટે પ્રસૂત વિભાગના ગાયનેકોલોજીસ્ટમાં ડો. કુલદીપસિંહ જાડેજા, ડો. વૈભવી ચાવડા, રેસિડેન્ટ ડૉક્ટર- ડો. નીરવ, ડો. મહેજબીન તરીકે ફરજ બજાવી રહ્યા છે. નિયમિત પૌષ્ટિક આહાર લેવોકાળજી હિમોગ્લોબિન નોર્મલ રાખવું, આયર્ન, ફોલિક એસિડ અને કેલ્શિયમ ટેબ્લેટ નિયમિત લેવી. પોષ્ટીક ખોરાક લેવો, દર્દીએ નિયમિત ચેક કરાવવું.ડોક્ટર કહ્યા મુજબ સોનોગ્રાફી કરાવવી., દાળ, પનીર, દૂધ, અંડા (ખાતી હોય તો),પૂરતું પાણી પીવું.હાઇપરટેન્શન અથવા ડાયાબિટીસ હોય તો નિયમિત મોનીટરીંગ. આ બંને સમસ્યા સીઝેરિયન અથવા લોહીની જરૂરિયાત વધારી શકે છે. > ડૉ. વૈભવી ચાવડા સવાલ : જોખમી ડિલિવરીમાં કેટલો સમય લાગે છે ?જવાબ સમય નક્કી નથી, 24 કલાકથી વધુ પણ લાગી શકે. સવાલ : કયા મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપવું પડે?જવાબ : માતાનું બ્લડ પ્રેશર,બાળકના હાર્ટબીટનું સતત મોનિટરિંગ, લોહી ઓછું હોવું, બાળકનું પોઝિશન ખોટું હોવું,ડાયાબિટીસ, થાઈરોઈડની સમસ્યાઓ વગેરે. સવાલ : 100 કેસમાંથી અંદાજે કેટલા ટકા કેસમાં લોહીની જરૂર પડે છે?જવાબ : સામાન્ય રીતે નોર્મલ ડિલિવરી: 2% થી 5% કેસમાં, જોખમી અથવા જટિલ ડિલિવરી: 10% થી 20% કેસમાં વગેરે જેવી સ્થિતિઓમાં વધુ શક્યતા રહે. સવાલ : પ્રસૂતિ મહિલામાં લોહીની ખામી હોવાના કારણોજવાબ : પૂરતું આયર્ન ન લેવું, પૌષ્ટિક તત્વોની ખામી, વિટામિન B12 અને ફોલીક એસિડની ઉણપ.
સન્ડે ફોટો સ્ટોરી:વહેતા પાણીમાં ઉડતું આકાશ : સાઇબિરીયાની ઠંડીથી બચવા સીગલ પક્ષી સુરત આવ્યા
સુરત શહેરને સારી રીતે જાણી ચુકેલા વિદેશી પક્ષી સીગલ હાલમાં શહેરના મહેમાન બન્યા છે. શિયાળાની શરૂઆત થાય ને તુરંત જ આ વિદેશ સીગલ પક્ષી સુરત આવી પહોચે છે. ખાણીપીણીના શોખીન સુરતીઓએ આ પક્ષીઓને પણ ખાવા માટે શોખીન બનાવી દીધા છે. નવાઈની વાત તો એ છે કે આ પક્ષીઓ સુરતી ગાઠીયાને પણ ખુબ ટેસ્ટફુલી આરોગી જાય છે. કેટલાક લોકો તો આ પક્ષીઓને ખવડાવવા માટે રૂટીન બનાવી દીધું છે. રોજે રોજ વહેલી સવારથી બપોર સુધી લોકો મકકાઈપુલ અને કોઝવે ખાતે ગાઠીયા ખવડાવતા જોવા મળે છે. ગાઠીયા ખવડાવવા લોકો હવામાં ફંગોળે છે ને પક્ષી પણ હવામાં જ ગાઠીયા ઝીલી લઈ પોતાની ચાંચમાં મુકી દેતા હોય છે, જેને જોવાની પણ અલગ જ મજા છે.
ચૂંટણી:પ્રમુખ સહિતના હોદ્દા માટે સુરેન્દ્રનગર બાર એસો.ની 19 ડિસેમ્બરે ચૂંટણી
સુરેન્દ્રનગર બાર એસોસીએશનનની ચૂંટણીની જાહેર કરવામાં આવી છે.આથી તા.19 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાનાર છે. જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી સહિત હોદ્દા માટે મતદાન યોજાશે. જેના ફોર્મ ભરવાનું તા.1 ડિસેમ્બરથી શરૂ કરાશે. ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા આગામી વર્ષ 2025-26 માટે બાર એસોસીએશનના હોદ્દેદારોની ચૂંટણી માટેની જાહેરાત કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં શહેરની કોર્ટ મુખ્ય હોવાથી જિલ્લા કોર્ટના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી સહિત હોદ્દા મેળવવા માટે ઉમેદવારો વચ્ચે હોડ જામે છે.ત્યારે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વર્ષ 2026ની સામાન્ય ચૂંટણી તા.19-12-2025ના રોજ એક જ દિવસે રાજ્યના તમામ 280 બાર એસોસીએશનની યોજવા માટે આદેશ કરાયા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં બાર એસોસીએશનની તા.19 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. જેમાં સુરેન્દ્રનગર મુખ્ય કોર્ટમાં નોંધાયેલ વકીલો મતદાન કરશે. આ ચૂંટણી પ્રક્રિયા માટે મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે રવિન્દ્રસિંહ વી. ચુડાસમા, સહાયક ચૂંટણી કમિશનર યુવરાજસિંહ વી. પરમારની નિમણૂંક કરાઇ છે. સુરેન્દ્રનગર જિલ્લા ન્યાયાલય તથા તાલુકાના બાર એસોસીએશનમાં ચૂંટણીના પડધમ વાગતા વકીલ જૂથો સક્રિય થયા છે. ફોર્મ પરત ખેંચવાની તા. 9 ડિસેમ્બર ચૂંટણી કમિશનરની નિમણૂક કરવાની છેલ્લી તારીખ 21-11-2025 { મતદાર યાદીનું નોટીસ બોર્ડ પ્રકાશન 24-11-2025 { વાંધા અરજી ચૂંટણી કમિશ નર સમક્ષ રજ કરવા 26-11-2025થી 28-11-2025 { આખરી મતદાર યાદી પ્રકાશન 29-11-2025 { ઉમેદવારી કરવા આવેદન ભરવા તારીખ 1-12-2025થી 5-12-2025 { ઉમેદવારો ફોર્મ ચકાસણી કરવી 8-12-2025 { ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની તારીખ 9-12-2025 { ઉમેદવારી આખરી યાદી જાહેર તારીખ 10-12-2025
4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. શનિ-રવિવારે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. વર્ષ 2002ની મતદાર યાદીમાંથી લોકો નામ શોધી શકે તે માટે પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ પોર્ટલ પર એક સાથે લોકો સર્ચ કરતાં હોવાથી દિવસ દરમિયાન પોર્ટલ બંધ રહ્યું હતું. બીજી તરફ હેલ્પ લાઈન નંબર 1950માં લોકો સતત ફોન કરતાં સતત ફોન વ્યસ્ત આવતો હતો. આ રૂટની બધી લાઇનો વ્યસ્ત હોવાનું જણાયું હતું. હેલ્પ લાઈન નંબર પર લોકો પુછી રહ્યાં છે કે, મારી પાસે વોટિંગ કાર્ડ છે પરંતુ 2002ની મતદાર યાદીમાં નામ કેવી રીતે શોધવું? વોટિંગ કાર્ડમાં સુધારો કેવી રીતે કરાવવો?, કઈ વેબસાઈટ પર 2002ની મતદાર યાદી શોધી શકાય?, ભાગ અને અનુક્રમ નંબર કેવી રીતે શોધવા? વિધાનસભા કેવી રીતે શોધવી?, નામ રદ કેવી રીતે કરાવવું?, એડ્રેસ કેવી રીતે બદલવું? જેવા સવાલો પુછી રહ્યાં છે. હેલ્પલાઇન પર છેલ્લા 15 દિવસમાં 1500થી વધુ ફોન કોલ આવ્યામતદારો પોતાની સમસ્યાનું નિરાકરણ ન લાવી શકે તો તેઓ હેલ્પલાઈન નંબર પર ફોન કરીને પોતાની સમસ્યાનું સમાધાન કરી શકે તે માટે 1950 નંબરની હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. પરંતુ શનિવારના રોજ આ હેલ્પલાઈન નંબર 400થી વધારે ફોન આવ્યા હતાં. છેલ્લાં 15 દિવસમાં આ હેલ્પલાઈન નંબર 1500થી વધારે ફોન આવ્યા છે. શનિવારના રોજ વધારે પ્રમાણમાં ફોન આવવાને કારણે લાઈન સતત વ્યસ્ત આવતી હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ફોર્મ અપલોડ કરવા ઉજાગરા કરવા પડે છેમતદારો ફોર્મ ભરીને આપી જાય છે તે ફોર્મને બીએલઓએ એપ્લિકેશનમાં અપલોડ કરવાના હોય છે. સર્વર ડાઉન રહેતા અમુક બીએલઓએ નવો રસ્તો શોધી કાઢ્યો છે. અનેક બીએલઓ રાત્રે 12 વાગ્યાથી સવાર સુધી ફોર્મ અપલોડ કરી રહ્યા છે. 2 દિવસ પહેલા શરૂ કરાયેલું પોર્ટલ ઠપ્પ રહ્યુંવર્ષ 2002ની મતદાર યાદીમાં નામ સરળતાથી શોધી શકે તે માટે તંત્ર દ્વારા બે દિવસ પહેલા એક પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ પોર્ટલ પર એક સાથે અનેક લોકોનો ઘસારો રહેવાને કારણે દિવસ દરમિયાન પોર્ટલ ખુલતું ન હતું, ઠપ રહ્યું હતું.
સન્ડે ફોટો સ્ટોરી:મોલ મેનેજમેન્ટ પર સૌપ્રથમ વ્યાપર પ્રોગ્રામ રજૂ કરાયા
માધવી સ્કિલ્સ યુનિવર્સિટી અને નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટે મોલ મેનેજમેન્ટમાં શૈક્ષણિક પ્રોગ્રામ્સની અનોખી શ્રેણી સહ-નિર્માણ અને પ્રદાન કરવા માટે સીમાચિહનરૂપ સમજૂતી કરાર કર્યા છે. આ જોડાણ કૌશલ્ય આધારિત ઉચ્ચ શિક્ષણ સાથે રિટેઈલ રિયલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રી સાથે સુમેળ સાધવામાં મહત્ત્વપૂર્ણ પગલું છે, જેનું લક્ષ્ય વ્યાવસાયિકોની ભાવિ પેઢી નિર્માણ કરવાનું છે. નેક્સસના સીઈઓ દલિપ સેહગલ, પ્રમુખ એચઆર અધિકારી રોહન વાસવાની, યુનિવર્સિટીના સંસ્થાપક પ્રવેશ દુદાની અને ગ્રુપ ચીફ સ્ટ્રેટેજી ઓફિસર દેવેન્દર કે સૈની હાજર હતા
સન્ડે ફોટો સ્ટોરી:ક્લિયરબોટ દ્વારા AI- પાવર્ડ મરીન રોબોની પ્રથમ ફ્લીટ લોન્ચ
સસ્ટેનેબલ અને ટેકનોલોજી પ્રેરિત વોટરબોડી રિજુવિનેશન પ્રત્યે કટિબદ્ધતા મજબૂત બનાવતાં કલિયર રોબોટિક્સ ઈન્ડિયા દ્વારા ભારતની હરિત સાગર અને અમૃત પહેલોના હેતુઓ સાથે સુમેળ સાધતાં 25 એઆઈ- પાવર્ડ ઓટોનોમસ ક્લિયરબોટ્સની પ્રથમ ફ્લીટ લોન્ચ કરી છે. આ આધુનિક ઈલેક્ટ્રિક માનવરહિત મરીન રોબો પ્રોએક્ટિવ, ડેટા પ્રેરિત પર્યાવરણીય દેખરેખ અને પુનરુદ્ધાર થકી વોટરબોડી વ્યવસ્થાપનમાં પરિવર્તન લાવવા તૈયાર કરાયા છે.
પોલીસે 47 જણને અટકાયતમાં લીધા:પુણે પોલીસે મધ્ય પ્રદેશમાં શસ્ત્ર બનાવતું એકમ પકડ્યું
પુણે પોલીસે શનિવારે મધ્ય પ્રદેશના બરવાની જિલ્લામાં ઉમાર્ત ગામમાં શસ્ત્રો બનાવવાનાં અનધિકૃત એકમમાં વ્યાપક દરોડા પાડ્યા હતા, જેમાં અનધિકૃત શસ્ત્રો અને સામગ્રીઓ જપ્ત કરી હતી અને 47 જણને અટકાયતમાં લેવાયા હતા, એમ એક સિનિયર અધિકારીએ શનિવારે જણાવ્યું હતું. કુલ ચાર ફેક્ટરીઓનું તોડકામ કરવામાં આવ્યું હતું અને બે પિસ્તોલ, પાંચ મેગેઝીન અને શસ્ત્રોનું ઉત્પાદન કરવા માટે ઉપયોગ કરાતી વિવિધ સામગ્રીઓ જપ્ત કરવામાં આવી હતી, એમ તેમણે જણાવ્યું હતું.પુણે પોલીસની ક્રાઈમ બ્રાન્ચના અધિકારી- કર્મચારીની 105 સભ્યની ટીમ અને વાયરલેસ, ડ્રોન, સર્વેલન્સ અને સાઈબર વિભાગના અધિકારીઓ દ્વારા આ વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) સોમય મુંડેની આગેવાની હેઠળની ટીમે પુણેથી આશરે 500 કિમી દૂર મધ્ય પ્રદેશના ઉમાર્તી ગામમાં આ દરોડા પાડવામાં આવ્યા હતા. 47 જેટલા લોકોને અટકાયતમાં લેવાયા હતા, જ્યારે ચાર ફેક્ટરીઓનું તોડકામ કરવામાં આવ્યું હતું.
વેધર રિપોર્ટ:મુંબઈ-પુણેમાં ઠંડીનું પ્રમાણ વધ્યું, હળવો વરસાદ પડવાની શક્યતા
મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી ફરી એક વાર તીવ્ર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તર તરફથી આવતા ઠંડા પવન અને વાદળછવાયા વાતાવરણને કારણે મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. સવારે ધુમ્મસની ચાદર અને રાત્રે ઠંડી હવાને કારણે નાગરિકો જાન્યુઆરી જેવી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં સવારે ખેતરોમાં ગાઢ ધુમ્મસ જોવા મળે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે તાપમાનમાં વધઘટને કારણે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. મુંબઈ, પુણે, કોંકણ, મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભમાં ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે. મુંબઈ જેવા શહેરમાં પણ સવારે તાપમાન ઘટી રહ્યું છે. પુણે અને નાશિકમાં વહેલી સવારે રસ્તાઓ પર ઠંડી સ્પષ્ટપણે અનુભવાય છે. ઘણા જિલ્લાઓમાં લઘુતમ તાપમાન 10 થી 15 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે અને ખાસ કરીને જલગાવ, નાશિક અને મરાઠવાડાના કેટલાક ભાગોમાં તાપમાન સતત ઘટી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, હાલ રાજ્યભરમાં ઠંડીનો પ્રકોપ ચાલુ રહેશે. જોકે આગામી થોડા દિવસોમાં મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં લઘુતમ તાપમાનમાં થોડો વધારો થવાની આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. જોકે હવામાન વિભાગનું કહેવું છે કે ત્યાર બાદ હવામાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં. વિદર્ભના ઘણા ભાગોમાં, આગામી પાંચ દિવસમાં લઘુતમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે સવાર અને સાંજ ઠંડીની સ્થિતિ યથાવત રહેશે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ મધ્ય મહારાષ્ટ્ર અને રાજ્યના નીચલા કોંકણ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. વાદળછવાયું વાતાવરણ અને વરસાદની શક્યતાને કારણે, દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાનમાં થોડો વધારો થઈ શકે છે. જોકે મહારાષ્ટ્રનો બાકીનો ભાગ શુષ્ક અને ઠંડો રહેશે. ઝડપથી ઘટી રહેલા તાપમાનને કારણે, બાળકો, વૃદ્ધ નાગરિકો અને ખેડૂતોને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે.
ભાસ્કર ન્યૂઝ | વઢવાણ- જોરાવરનગર સુરેન્દ્રનગર જિલ્લામાં એસ.આઇ.આર.ની કામગીરીમાં જોડાયેલા બુથ લેવલ ઓફિસર જેમાં મોટાભાગના શિક્ષકો છે તેમની સાથે ઉપરી અધિકારીઓ દ્વારા વેઠિયા મજૂરો જેવું વર્તન કરવામાં આવે છે. આ વાત સુપરવાઇઝર ્વારા બીએલઓને પાઠવામાં આવેલા સંદેશા પરથી જણાય છે. દિવ્ય ભાસ્કર દ્વારા આ સંદેશાની તપાસ કરતાં સમગ્ર સત્ય સામે આવ્યું હતું. રાજ્યમાં કામના ભારણથી ચાર જેટલા બી.એલ.ઓના મૃત્યુ થયા છે ત્યારે આ ચૂંટણી કર્મચારીઓને કેવી માનસિક યાતના અપાય છે તેની વિગત તપાસવા મેસેજોની જાણકારી મેળવવામાં આવી હતી જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. જિલ્લામાં 1518 BLOમાંથી 90 ટકા શિક્ષકોના જ બી.એલ.ઓ. તરીકે ઓર્ડર થતા સરકારી શાળામાં શિક્ષણ ઠપ્પ થયું છે. ત્યારબાદ વધુ 300 જેટલા સહાયક બીએલઓના હુકમ થયા હતા. તા. 22 અને 23ના રોજ શાળામાં હાજર રહી કામગીરી કરો, ફિલ્ડમાં જાવ, તમામ આચાર્યોએ પણ સરની કામગીરી પૂરી ના થાય ત્યાં સુધી રજા મંજૂર નથી કરવાની તેવી સુચનાઓ અપાય છે. આ સમયગાળામાં લગ્નની સિઝન છે છતાં તમામને કામગીરી કરવાની સુચનાનો પત્ર નાયબ કલેક્ટરે કર્યો છે. રાત્રે ફોન કરીએ તો અવશ્ય ઉપાડવો. અધિકારીઓ મીટીંગમાં જાહેરમાં અપમાન કરે છે એક મહિલા બીએલઓએ નામ નહીં આપવાની શરતે હૈયાવરાળ ઠાલવતા કહ્યું કે, અમને મીટીંગમાં બોલાવી અન્ય બીએલઓ અને શિક્ષકોની હાજરીમાં અપમાન કરાય છે આથી માનસિક ત્રાસ અનુભવાય છે. જે બીએલઓને મીટીંગમાં બોલાવાય તેવો ફફડતા હોય છે કે અધિકારી કેવા શબ્દોમાં લડશે. ઉપરાંત વ્હોટસઅપ ગ્રુપમાં પણ સુપરવાઇઝર ડી.સી. સાહેબના નામે ધમકાવે છે. અન્ય સરકારી વિભાગોમાં હજારો કર્મચારીઓ છે પણ વિદ્યાર્થીના શિક્ષણના ભોગે શિક્ષકોને જ કેમ કામગીરી સોંપાય છે તે પ્રશ્ન છે. દિવસ-રાત કામગીરીથી કર્મચારીઓ તણાવમાં: લગ્ન પ્રસંગોમાં પણ નથી જઈ શકતાશિક્ષક મહાસંઘના આચાર્ય વિભાગના જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ સોલંકી તાલુકા પ્રમુખ જગદીશભાઈ દલવાડીએ જણાવ્યું કે શિક્ષકોને BLOની કામગીરીને કારણે શિક્ષણ કાર્યમાં મુશ્કેલીઓ પડી રહી છે. તેમજ અન્ય 18 કેૅડરના કર્મચારીઓને પણ આ કામગીરી સોંપવાની માંગણી કરી હતી, હાલ લગ્ન પ્રસંગ વચ્ચે દિવસ રાત કામગીરી કરી રહ્યા છે આથી શિક્ષકો અને બીએલઓને વધુ માનસિક ટેન્શન ન આપવા અપીલ કરી હતી.
મુંબઈ હાઇ કોર્ટે ભૂતપૂર્વ શેરદલાલ કેતન પારેખને વિદેશ પ્રવાસ માટે મંજૂરી આપવા સમયે 27.06 કરોડ રૂપિયા જમા કરવાની શરત લાદનાર સ્પેશિયલ કોર્ટનો આદેશ રદ કર્યો છે. ન્યાયમૂર્તિ એન.જે. જામદારની ખંડપીઠે સ્પષ્ટ કર્યું કે, આ શરત સાથે પારેખની હાજરી સુનિશ્ચિત કરવાનો કોઈ તર્કસંગત સંબંધ નથી અને તે ન્યાયસંગતતાના માપદંડને પૂર્ણ કરતી નથી. હાઈ કોર્ટે નિરીક્ષણ કર્યું કે, સ્પેશિયલ કોર્ટ દ્વારા લાદવામાં આવેલી જમા રકમ, 2 જાન્યુઆરી, 2025ના સેબીના એકતરફી વચગાળાના આદેશને અમલમાં મૂકવા માટેનો એક પ્રયત્ન દેખાય છે. જોકે દાયકાઓ જૂના કેસ સંબંધે વિદેશ પ્રવાસ માટે એવી રકમ જમા કરાવવી ઉચિત નથી. પારેખને 2016માં જામીન મળ્યા હતા અને વિદેશ પ્રવાસ માટે વિશેષ પરવાનગી લેવાની શરત હતી. રેકોર્ડ મુજબ, પારેખ અનેક વાર વિદેશ ગયા છે, અને દરેક વખતે કોર્ટની શરતોનું પાલન કર્યું છે. 14 ઑક્ટોબર, 2025ના પારેખે 5 થી 9 નવેમ્બરે થાઇલેન્ડ અને ત્યાર બાદ 18 થી 28 નવેમ્બરે યુએઈમાં પારિવારિક કાર્યક્રમો માટે પ્રવાસની મંજૂરી માગી હતી. 4 નવેમ્બરે વિશેષ જજે મંજૂરી આપતાં સેબીના 2 જાન્યુઆરી, 2025ના વચગાળાના આદેશનો દાખલો આપી 27.06 કરોડ રૂપિયા જમા કરવાની નવી શરત મૂકી હતી. સેબીના આદેશ મુજબ કુલ 65 કરોડના કથિત રીતે ખોટા લાભમાંથી આશરે 38 કરોડ પારેખ અને અન્યોએ પહેલેથી જમા કરી દીધા હતા, પરંતુ બચેલી રકમ જમા કરાવવાની શરત પારેખે પડકાર્યા બાદ હાઈ કોર્ટે આ મુદ્દે હસ્તક્ષેપ કર્યો.પારેખ તરફથી સિનિયર એડવોકેટ અમિત દેસાઇએ દલીલ કરી કે, સેબીનો આદેશ અંતિમ નથી અને રિકવરી માટેની કાર્યવાહી પણ શરૂ થઈ નથી. તેથી વિવાદિત રકમને વિદેશ પ્રવાસની શરત બનાવવી ન્યાયસંગત નથી. બીજી તરફ સેબીએ દાવો કર્યો કે, પારેખે જામીનની મુક્તિનો દુરુપયોગ કર્યો છે. હાઈ કોર્ટે નોંધ્યું કે,પારેખ વિદેશમાં જવાથી જોખમ ઊભું થશે એવી વિશેષ જજે નોંધ કરી નથી, અને અગાઉની તેમની વિદેશની સફરોમાં તેમણે પ્રવાસની શરતોનું પાલન કર્યું હોવાનું નોંધ્યું હતું. તેથી 27.06 કરોડની શરત ન્યાયની દ્રષ્ટિએ અસંગત, ઉપયોગિતા વિનાની અને અતિશય હોવાનું કહી કોર્ટે તેને રદ કરી.
સિટી એન્કર:મહાપાલિકા દ્વારા મોડેલ ફૂટપાથ બનાવવા માટે 100 કરોડનું ટેન્ડર
મુંબઈમાં રસ્તાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા મહાપાલિકાએ 100 કરોડથી વધુનું મોટું ટેન્ડર જારી કરીને વ્યાપક ફૂટપાથ સુધારણા પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ પહેલ હેઠળ દ્વીપકલ્પ વિસ્તાર તેમ જ પશ્ચિમ–પૂર્વ ઉપનગરોના કુલ 14 મુખ્ય રસ્તાઓ પર 16.55 કિમી લાંબા ફૂટપાથનું આધુનિકીકરણ કરવામાં આવશે. પ્રોજેક્ટમાં સિવિલ અપગ્રેડ, થર્મોપ્લાસ્ટિક રોડ માર્કિંગ, નવી ટ્રાફિક સાઇનેજ, કર્બસ્ટોન અને ડિવાઈડરના સમારકામ જેવાં કામોનો સમાવેશ થાય છે. મહાપાલિકાનો ધ્યેય એવા મોડેલ ફૂટપાથ બનાવવાનું છે, જે આખા શહેર માટે નવું ધોરણ બની શકે. આ માટે પ્રથમ વખત અર્બન પ્લાનરોની નિમણૂક કરીને ફૂટપાથની બારીકાઈભરી ડિઝાઇન અને ક્રોસ-સેક્શન ઇન્ડિયન રોડ કોંગ્રેસ (આઈઆરસી) કોડ મુજબ તૈયાર કરાશે. પસંદ કરાયેલા રસ્તાઓને પાઈલટ પ્રોજેક્ટ તરીકે રિમોડેલ કર્યા પછી તેની કામગીરીનું નિરીક્ષણ થશે અને પ્રતિસાદના આધારે જરૂરી ફેરફારો કરવામાં આવશે. પ્લાનરો સુરક્ષા, સૌંદર્ય, સુલભતા અને વ્યવહારુતાને કેન્દ્રમાં રાખીને ડિઝાઇન કરશે જેથી શહેરની જરૂરિયાતો સાથે રાહદારીઓની સુખાકારીનો સંતુલિત સુમેળ સધાય. ફૂટપાથને દરેક નાગરિક, ખાસ કરીને દિવ્યાંગ મિત્રોએ સરળતાથી ઉપયોગ કરી શકે તે સુનિશ્ચિત કરવા સુગમ્ય ભારત અભિયાનના માર્ગદર્શક તત્ત્વો અનુસરાશે. ફૂટપાથ અને કર્બની મહત્તમ ઊંચાઈ 150 મીમીથી વધુ નહીં હોય. રેમ્પ, ટેક્ટાઈલ પાથવે અને વ્હીલચેર માટે સરળ સપાટી જેવી સુવિધાઓ ફરજિયાત રાખવામાં આવશે. વિશેષ ઓડિટ દ્વારા તાત્કાલિક સુધારાની જરૂર ધરાવતા વિસ્તારોની ઓળખ કરવામાં આવશે. મહાપાલિકાના બજેટ અને શહેર વિકાસ યોજનામાં વોકેબિલિટી (ચાલવા યોગ્ય) વધારવાની પ્રતિબદ્ધતા વધુ સ્પષ્ટ થઈ છે. વધુ પહોળા, સમતળ, સુરક્ષિત અને જાળવણીવાળા ફૂટપાથ શહેરવાસીઓને ચાલવાનું વધુ આરામદાયક અને સુરક્ષિત બનાવશે. આ પરિવર્તન વાહનવ્યવહાર પરનો આધાર ઓછો કરીને શહેરને વધુ જીવંત અને ટકાઉ બનાવશે. અપગ્રેડ માટે માર્ગદર્શક બનશેઆ વર્ષ માટે 100 કરોડ ફૂટપાથ સુધારણા માટે ફાળવવામાં આવ્યા છે, જેમાં ડિઝાઇન, નિર્માણ, સુરક્ષા ઓડિટ અને સુલભતા સુધારણા સામેલ છે. તબક્કાવાર અમલીકરણથી પ્રોજેક્ટનું નિરીક્ષણ અને મૂલ્યાંકન સરળ બનશે. પાઈલટ રસ્તાઓમાં જુહુ તારા રોડ, વીરા દેસાઈ રોડ, મિલિટરી રોડ, એસવી રોડ (પશ્ચિમ), સાકી વિહાર રોડ, પુરુષોત્તમ ખેરાજ માર્ગ, મહાત્મા ગાંધી રોડ, બાલ રાજેશ્વર માર્ગ (પૂર્વ) તેમ જ શહેરના શહીદ ભગતસિંહ રોડ, ડી.એન. રોડ, સેનાપતિ બાપટ માર્ગ અને બાબાસાહેબ આંબેડકર રોડનો સમાવેશ થાય છે. આ મોડેલ ફૂટપાથ આગામી શહેરવ્યાપી અપગ્રેડ માટે માર્ગદર્શક બનશે.
સ્કૂલ બેગે 11 વર્ષના બાળકનો જીવ બચાવ્યો:પાલઘરના જંગલમાં બાળકે મિત્રો સાથે દીપડાને ભગાવ્યો
પાલઘરના જંગલમાં દીપડા સામે બાથ ભીડવાનું અનન્ય સાહસ 11 વર્ષના બાળકે બતાવ્યું હતું. તેણે મિત્રો સાથે દીપડા પર પથ્થરો ઝીંક્યા હતા અને બૂમાબૂમ કરી મૂકી હતી, જેને લઈને દીપડો ઊભી પૂંછડીએ ભાગી ગયો હતો. માલા પાડવીપાડા વિસ્તાર નજીક શુક્રવારે સાંજે દીપડાએ મયંક કુવારા પર હુમલો કર્યો ત્યારે તેની સ્કૂલ બેગ તેનુ રક્ષાકવચ બની હતી. મયંક ધોરણ-5નો વિદ્યાર્થી છે. તે સ્કૂલમાંથી પાછો ઘરે આવતો હતો ત્યારે દીપડાએ તેની પર હુમલો કર્યો હતો. તે અને તેના અન્ય એક મિત્રએ હિંમત કરીને બૂમાબૂમ કરી મૂકી હતી અને દીપડા તરફ પથ્થરો ફેંક્યા હતા. દરમિયાન બાળકો દ્વારા બૂમાબૂમ અને સમયસૂચકતાને કારણે આસપાસના લોકો સતર્ક બન્યા હતા અને મદદે દોડી આવ્યા હતા, જેને લઈ દીપડો જંગલમાં ભાગી ગયો હતો. મયંકના હાથોમાં દીપડાના પંજાના હુમલાથી ઈજા થઈ છે. તેને વિક્રમગડ ગ્રામીણ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે. તેના હાથોમાં ટાંકા પણ આવ્યા છે.નિવાસી વન અધિકારી કાંચડ, સ્વપ્નિલ મોહિતેએ જણાવ્યું કે વન અધિકારીઓ તુરંત ઘટનાસ્થળ પર ધસી આવ્યા હતા અને બાળકને હોસ્પિટલમાં લઈ ગયા હતા.વન વિભાગે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને અનેક પ્રતિબંધાત્મક પગલાં લેવાનું શરૂ કર્યું છે. વન વિભાગે શાળાને પણ દીપડાની અવરજવર હોય તે વિસ્તારમાં શાળા સાંજે 4 વાગ્યા સુધી બંધ કરી દેવાની વિનંતી કરી છે.મોહિતેએ જણાવ્યું કે દીપડાની અવરજવરનું પગેરું રાખવા માટે એઆઈ- એનેબલ્ડ કેમેરા ગોઠવવામાં આવ્યા છે, જ્યારે ગામવાસીઓને પારંપરિક દવંડી (જાહેર ઘોષણાઓ) થકી સતર્ક કરવામાં આવી રહ્યા છે.
મનસેને આઘાડીમાં લેવાની બાબત ચર્ચામાં:મનસેને આઘાડીમાં લેવા બાબતે મુંબઈ અને પ્રદેશ કોંગ્રેસમાં ભાગલા
મનસે અને કોંગ્રેસની વિચારધારા એકસરખી નથી. આપણી વિચારધારા અલગ હોવાથી, તેમને મહાવિકાસ આઘાડીમાં સામેલ કરવા કે નહીં તે મુદ્દો ચર્ચાઈ રહ્યો છે, પરંતુ શરદ પવારે લીધેલા વલણને ધ્યાનમાં લેતાં આપણે મનસે સાથે આઘાડીમાં લડવું જોઈએ, બધાએ સાથે આવીને ભાજપને ખતમ કરવા માટે કામ કરવું જોઈએ, અમે આ અંગે સકારાત્મક છીએ, એમ કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે જણાવ્યું હતું. મુંબઈ કોંગ્રેસ મનસેને આઘાડીમાં લેવા માટે તદ્દન વિરુદ્ધ છે તે અત્રે નોંધનીય છે. દરમિયાન મુંબઈ કોંગ્રેસનાં પ્રમુખ વર્ષા ગાયકવાડે ફરીથી સ્પષ્ટ કર્યું કે વડેટ્ટીવારનું વલણ પ્રદેશ કોંગ્રેસનું હોઈ શકે, પરંતુ મુંબઈ કોગ્રેસનો સ્વતંત્ર નિર્ણય છે. અમે હિંસક રાજકારણમાં સામેલ કોઈ પણ પક્ષને આઘાડીમાં નહીં લઈશું. આને કારણે આગામી દિવસોમાં રાજકારણ વધુ ગરમાવાની શક્યતા છે. કેટલીક જગ્યાએ અમારા પદાધિકારીઓ મનસે સાથે આઘાડી કરીને આગળ વધ્યા છે. અમે સકારાત્મક છીએ. સરકાર પાસે મંત્રીઓના બંગલા પર ખર્ચ કરવા માટે કરોડો રૂપિયા છે, પરંતુ ખેડૂતોને, કોન્ટ્રાક્ટરોને આપવા માટે પૈસા નથી. પૈસાને અભાવે તેઓ આત્મહત્યા કરી રહ્યા છે. કોન્ટ્રાક્ટરોએ લોકો પાસેથી ઉધાર અથવા લોન પર પૈસા લીધા છે અને કામ કર્યું છે, પરંતુ સરકાર તેમને પૈસા આપી રહી નથી. સરકાર પાસે ધારાસભ્યોને પૈસા આપવા માટે પૈસા છે. વિજય વાડેટ્ટીવારે કહ્યું કે જો ભાજપે બિહારમાં જે કર્યું, તે આવતીકાલે મુંબઈમાં પણ કરશે. તેઓ લોકશાહી જાળવવા માગતા નથી, તેથી તેઓ પારદર્શક ચૂંટણીઓ થવા દેશે નહીં. તેઓ મહારાષ્ટ્રમાં અને બિહારમાં મુંબઈમાં જે કર્યું તે જ કરશે, પરંતુ જો ચૂંટણી બેલેટ પેપર પર યોજાશે, તો શું સાચું છે અને શું ખોટું છે તે બહાર આવશે અને તમે તમારી સ્થિતિ સમજી શકશો. ગરીબોને ન્યાય નહીં મળે.વડેટ્ટીવારે કહ્યું કે ગરીબ લોકોને ન્યાય મળી રહ્યો નથી, આ સરકાર દરમિયાન ગરીબ અને અમીરોને અલગ અલગ વર્તણૂક મળી રહી છે. ગરીબોએ ન્યાયની અપેક્ષા રાખવી જોઈએ નહીં. તેથી, અમીરોને અલગ વર્તણૂક આપવામાં આવી રહી છે અને ગરીબોને ઠપકો આપવામાં આવી રહ્યો છે. તેમણે પાર્થ પવાર કેસની પણ ટીકા કરી છે. જો આ કેસ આગળ ન આવ્યો હોત, તો આ જમીન પચાવી પાડવામાં આવી હોત. લોકશાહીને કચડી નાખવાનું કામવિજય વડેટ્ટીવારે કહ્યું કે, ૧૦૦ થી વધુ ભાજપના નગરસેવકો અને ૩ મેયર ધર્માંધતા, પૈસા, દબાણ અને સિસ્ટમના ઉપયોગને કારણે બિનહરીફ ચૂંટાયા. જો પૈસા અને સિસ્ટમના દબાણ હેઠળ ચૂંટણીઓ યોજાય તો આ બધું થઈ શકે છે, કારણ કે સત્તા તમારી છે, તમે લોકશાહીને કચડી નાખવાનું કામ કરી રહ્યા છો, કોઈ તમને રોકી શકશે નહીં. મતદારોન ધમકાવવામાં આવી રહ્યા છેવડેટ્ટીવારે કહ્યું કે મતદારોને ધમકાવવામાં આવી રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે શાસક પક્ષના ઉમેદવારોને મત આપો, નહિતર તેમને ભંડોળ આપવામાં આવશે નહીં. લોકોને “અમે તમને ઘરનો સામાન આપ્યો છે, જો તમે મત નહીં આપો તો જુઓ”ની ધમકી આપીને મતદાન કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. પ્રશ્ન એ છે કે શું પારદર્શક ચૂંટણી થશે. રૂપિયાનું મૂલ્ય ઘટી રહ્યું હોવા છતાં, ભાજપવાળા એ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ભાજપ સરકાર સારી છે. રૂપિયાનું મૂલ્ય ગગડી રહ્યું છે, ત્યારે ભાજપના નેતાઓ તેના વિશે કંઈ કરવા તૈયાર નથી. જો આ ચાલુ રહ્યું, તો દેશ કાલે ગરીબ બની શકે છે.
રાજકુમાર જાટ મર્ડર કેસ:ગણેશ જાડેજા સહિત 10ના નિવેદનો લેવાયા
ગોંડલમાં રહેતા 24 વર્ષના રાજકુમાર રતનલાલ જાટ 2 માર્ચની રાત્રીના ગોંડલથી ગૂમ થયા બાદ તા.4ના વહેલી સવારે રાજકોટની ભાગોળે તરઘડીયાના ઓવરબ્રિજ પરથી તેની લાશ મળી આવી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાશનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. મૃતકને શરીરમાં 17 ઇજાના નિશાન હોવાનું પીએમમાં દર્શાવ્યું હતું. ત્યારે ગૃહવિભાગે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુને તપાસ સોંપી હતી. જિલ્લા પોલીસવડા ડેલુની સૂચનાથી ડીવાયએસપી પુરોહિતે શનિવારે ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ જયરાજસિંહ જાડેજા સહિત 10 શખસોને પૂછપરછ માટે બોલાવ્યા હતા. મોડી સાંજે તમામના નિવેદનો નોંધવાનું શરૂ થયું હતું, મોડી રાત સુધી આ કાર્યવાહી ચાલી હતી. રાજકુમારની લાશ મળી ત્યારથી તેના પિતા રાજકુમાર જાટે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સહિતનાઓ પર આક્ષેપ શરૂ કર્યા હતા અને ધારાસભ્યના
સિટી એન્કર:વરલીમાં 58 અને 85 માળના ટાવર્સમાં ઘરો માટે મ્હાડાની લોટરી
મુંબઈ જેવા મોંઘા શહેરમાં ઘર ખરીદવું એ ઘણા લોકોનું સપનું હોય છે. જોકે ઘરના વધતા ભાવ, મર્યાદિત ઉપલબ્ધ જગ્યા અને નાણાકીય તણાવને કારણે, ઘર ખરીદવું ઘણા લોકો માટે પડકારજનક બની જાય છે. આવી સ્થિતિમાં, મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા) છેલ્લાં ઘણાં વર્ષોથી સામાન્ય માણસને સસ્તાં મકાનો પૂરાં પાડવા માટે કામ કરી રહી છે. બજારભાવ કરતાં ઓછી કિંમતે ઘર ઉપલબ્ધ થવાને કારણે અને પારદર્શક લોટરી સિસ્ટમને કારણે, મ્હાડાનાં ઘરોની ભારે માગણી છે. હવે, મ્હાડા દક્ષિણ મુંબઈના વરલીમાં એક મોટી આવાસ યોજના બનાવી રહી છે, જે મુંબઈવાસીઓ માટે સુવર્ણ તક પૂરી પાડશે. આ બીડીડી ચાલના મોટા પુનર્વિકાસ પ્રકલ્પનો એક ભાગ હશે.પ્રાથમિક માહિતી મુજબ, વરલીમાં બીડીડી ચાલી પુનઃવિકાસ પ્રકલ્પ ચાલી રહ્યો છે અને જૂના રહેવાસીઓના પુનર્વસન માટે મોટા પાયે આવાસોનું બાંધકામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં, મ્હાડાને એક અલગ પ્લોટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે જે તે પોતે વિકસાવશે. મ્હાડા આ સ્થળ પર 58 માળ અને 85 માળના બે હાઇ-રાઇઝ ટાવર બનાવવાની યોજના ધરાવે છે. ઉપરાંત વેચાણ માટે ત્રણ અલગ ટાવર બનાવવાનો પ્રસ્તાવ છે. આ ઇમારતોમાં આધુનિક સુવિધાઓ, સુરક્ષા વ્યવસ્થા, પાર્કિંગ, લિફ્ટ, કમ્યુનિટી સ્પેસ, જિમ્નેશિયમ અને બાળકો માટે રમતનું મેદાન હશે. ઊંચી ઇમારતને કારણે, આ ઘરોમાંથી બીચ વિસ્તારનો નજારો દેખાતો હોવાની શક્યતા છે, જેના કારણે નાગરિકોમાં આ પ્રોજેક્ટ વિશે ઉત્સુકતા પેદા થઈ છે.એરપોર્ટ ઓથોરિટી પાસેથી આ બાંધકામ માટે જરૂરી પરવાનગીઓ મળી ગઈ હોવાથી હવે કામ ઝડપી થવાની શક્યતા છે. બાંધકામ પૂર્ણ થયા પછી, આ મકાનો મ્હાડા લોટરી દ્વારા વહેંચવામાં આવશે, જે નાગરિકોને દક્ષિણ મુંબઈના આ પ્રતિષ્ઠિત વિસ્તારમાં રહેવાની તક હજુ સુધી મળી નથી, તેમના માટે આ લોટરી ખરેખર જીવન બદલી શકે છે. એવું માનવામાં આવે છે કે ઓછી કિંમતે અને સરકારી દેખરેખ હેઠળ ઉપલબ્ધ થનારાં આ મકાનો સલામત, સારી ગુણવત્તાવાળા અને લાંબા સમય સુધી ટકી રહેશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે મુંબઈમાં મકાનોના ભાવ વધતા સામાન્ય માણસને આ પ્રોજેક્ટમાં મકાનોની કિંમત પોસાય તેવી રહેશે.
ફરિયાદ:વિજાપુરના ચાંગોદમાં પાણી છોડવા મામલે પિતા-પુત્રે ઉપસરપંચને બેફામ ગાળો ભાંડી
વિજાપુર તાલુકાના ચાંગોદ ગામે પાણી છોડવા મામલે યુવક અને તેના પિતાએ સરપંચને ગાળો બોલી બોર નજીકથી પસાર થઈ રહેલા તેના દીકરાને પણ માર માર્યો હતો. સરપંચ અને ઉપસરપંચને ગાળો બોલી ઝઘડો કરનાર પિતા પુત્ર સામે નામજોગ સહિત 15 જણના ટોળા સામે ઉપસરપંચે લાડોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ચાંગોદ ગામના સંજયકુમાર ચીનુભાઈ બારોટ ગામમાં ઉપસરપંચ અને તેમની પત્ની ધર્મિષ્ઠાબેન સરપંચ છે. શુક્રવારે સાંજે તેમના મોબાઈલ ઉપર ભરતભાઈ પ્રવીણભાઈ પરમારે ફોન કરી ગામમાં પાણી છોડવાની વાત કરતાં તેમણે બોર ઓપરેટર વજાજી ઠાકોરને ફોન કરી પાણી છોડવા કહ્યું હતું. ત્યાર બાદ વજાજીએ તેમને ફોન કરી કહ્યું કે, હું બોર ચાલુ કરવા ગયો તે સમયે ભરતભાઈ પ્રવીણભાઈ પરમાર, તેના પિતા પ્રવીણભાઈ લવજીભાઈ પરમાર અને બીજા 15 માણસોએ ભેગા થઈ ગાળો બોલી હતી. તેવામાં તેમનો દીકરો હર્ષ સરદારપુર બાજુથી આવતો હોઇ તેને પણ ઉભો રાખી તેમને ગાળાગાળી કરી ફેંટ પકડી છાતીના ભાગે માર માર્યો હોવાની વાત કરી હતી. તેમના દીકરાને ફોન કરી પૂછતાં ભરતભાઈએ તેને ગડદાપાટુથી માર માર્યો હોવાનું કહ્યું હતું. સંજયભાઈએ ભરતભાઈને ફોન કરતાં તેમને પણ ગાળો બોલી, એટ્રોસિટીની ફરિયાદ કરવાની ધમકી આપી હતી.
રજૂઆત:મહેસાણા-1 અને 2ને જોડતા નવા પુલ માટે ડિઝાઇન અને ટેન્ડરિંગની પ્રક્રિયા ઝડપથી પૂરી કરવા માગણી
ચોમાસામાં મહેસાણા શહેરના બંને મુખ્ય નાળા પાણીથી ભરાઈ જતાં હોવાથી અને આંતરિક વાહન વ્યવહાર માટે માત્ર આંબેડકર બ્રિજ જ ચાલુ રહેતાં શહેરીજનો અને વાહન ચાલકોને ખૂબ જ તકલીફ પડતી હોવાથી મહેસાણા-1 અને મહેસાણા-2ને જોડતા નવીન બ્રિજ માટેની ડિઝાઇન અને ટેન્ડરિંગ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા તેમજ આંબેડકર બ્રિજને પહોળો કરવાની કામગીરી પણ ઝડપથી કરવા માટે રાજ્યસભાના સાંસદ મયંક નાયકે શુક્રવારે અમદાવાદ ખાતે મળેલી પશ્ચિમ રેલવેની બેઠકમાં માંગણી કરી હતી. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેક ગુપ્તા, ડીઆરએમ વેદ પ્રકાશ અને રાજુ ભડકે સહિત અધિકારીઓ તેમજ અન્ય સાંસદોની હાજરીમાં યોજાયેલી પશ્ચિમ રેલવેની બેઠકમાં રાજ્યસભાના સાંસદ મયંક નાયકે મહેસાણા જિલ્લાના પડતર પ્રશ્નો રજૂ કર્યા હતા. જેમાં ચોમાસામાં જિલ્લાના મોટાભાગના અંડરપાસમાં પાણી ભરાઈ જતું હોવાથી તે બંધ થઈ જાય છે તે સમસ્યા દૂર કરવા પાણી નિકાલની વ્યવસ્થા કરવા, કડી ખાતે નવીન રેલવે સ્ટેશન માટે અંડરપાસની કામગીરી તાત્કાલિક શરૂ કરવા, ધરોઇ ખાતે ટુરિઝમ સંકુલ વિકસિત થતું હોવાથી ત્યાં પણ નવીન રેલવે સ્ટેશન બનાવવા માટે માગણી મૂકી હતી. સાથે, મહેસાણા શહેરની હદમાં આવેલી જૂની નિષ્ક્રિય થયેલી રેલ્વે લાઈનને મહાનગરપાલિકાને સોંપી ત્યાં રોડ બનાવવા માટે, નવીન રેલવે લાઈનને કારણે બંધ થયેલા જિલ્લાના ખેડૂતોના માર્ગો ફરીથી સ્થાપિત કરવા, મહેસાણા રેલ્વે સ્ટેશને રેલવે કોચ રેસ્ટોરેન્ટ ખોલવા, ભીલડી વાયા પાટણ, મહેસાણા, અમદાવાદ થઈ મુંબઈની નવી ટ્રેન શરૂ કરવા સહિતના 14 જેટલા પડતર પ્રશ્નો રજૂ કરી, તે પૂર્ણ કરવા માંગણી કરી હતી.
મુંબઈના ધારાવી વિસ્તારમાં શનિવારે બપોરે માહિમ રેલવે સ્ટેશનની નજીક ભીષણ આગ ભભૂકી ઊઠી, જેને કારણે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો. નવરંગ કમ્પાઉન્ડના 60 ફીટ રોડ પર આવેલી ઝૂંપડપટ્ટીમાં બપોરે 12.29 વાગ્યે આગ લાગી હતી. આગની જાણ થતાં જ મુંબઈ ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ અને બીએમસીના વોર્ડ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા. ઓછામાં ઓછા ચાર ફાયર એન્જિન સહિત અન્ય અગ્નિશામક વાહનો દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. આગનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી, પરંતુ પ્રાથમિક માહિતી અનુસાર ઝૂંપડાંઓમાં રાખેલાં ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટને કારણે આગ ફાટી નીકળ્યાની શંકા છે. સાક્ષીદારોએ ઓછામાં ઓછા બે મોટા ધડાકા સાંભળ્યાની જાણ કરી છે. આ આગના કારણે હાર્બર લાઇન પર સ્થાનિક ટ્રેનોની સેવા સંપૂર્ણ રીતે પ્રભાવિત થઈ. વેસ્ટર્ન રેલવે કંટ્રોલ રૂમે માહિતી આપી કે બાંદરા અને માહિમ વચ્ચેની હાર્બર લાઇન પર સીએસટી તરફ જતી ટ્રેનો બપોરે 12.43 વાગ્યાથી બંધ કરી દેવામાં આવી હતી. વીજ પુરવઠો સલામતીના ભાગરૂપે ડિસ્કનેક્ટ કરવામાં આવતા ટ્રેનો અટકી ગઈ. વેસ્ટર્ન રેલવેના સીપીઆરઓએ જણાવ્યું કે કોઈ પણ મુસાફર અથવા ટ્રેનને જોખમ નથી, કારણ કે તમામ ટ્રેનોને ઘટનાસ્થળથી દૂર રાખવામાં આવી છે. નવરંગ કમ્પાઉન્ડની ઝૂંપડપટ્ટીમાં લાગેલી આગ હાર્બર લાઇનની અપ સાઈડની નજીક હોવાથી સુરક્ષાના ભાગરૂપે કામગીરી વધુ સતર્કતાથી કરવામાં આવી રહી છે. મુસાફરોને સતર્ક રહેવા અને વિકલ્પ માર્ગો અપનાવવાની અપીલ કરવામાં આવી હતી.
સન્ડે ફોટો સ્ટોરી:મુંબઈમાં MAAC મેનિફેસ્ટ 2025 પૂર્ણ
માયા એકેડેમી ઓફ એડવાન્સ્ડ ક્રિયેટિવિટીનો એમએએસી મેનિફેસ્ટ 2025ની શનિવારે બાંદરામાં સફળતાથી પૂર્ણાહુતિ થઈ, જેમાં વિદ્યાર્થીઓ અને ઉદ્યોગના આગેવાનોએ એકત્ર આવીને ભારતના ઉત્ક્રાંતિ પામતા મિડિયા અને એન્ટરટેઈનમેન્ટ અવકાશ માટે લર્નિંગ, મેન્ટોરશિપ અને ઈન્સ્પિરેશન પર સઘન ચર્ચાવિચારણા કરી હતી. આ સમયે સાંસ્કૃતિક બાબતોના મંત્રી આશિષ શેલાર, એમએએસીના એપટેક લિ. ખાતે ગ્લોબલ રિટેઈલના સીબીઓ અને એમએએસીના બ્રાન્ડ કસ્ટોડિયન સંદીપ વેલિંગે માર્ગદર્શન કર્યું હતું.
સન્ડે ફોટો સ્ટોરી:સેન્ટ જ્યુડ ઈન્ડિયા ચાઈલ્ડકેર સેન્ટર્સ દ્વારા હોમ અવે ફ્રોમ હોમ સુવિધા
સેન્ટ જ્યુડ ઈન્ડિયા ચાઈલ્ડકેર સેન્ટર્સ દ્વારા ટાટા મેમોરિયલ સેન્ટરના એસીચીઆરઈસી સાથે ભાગીદારીમાં નવી મુંબઈના ખારઘરમાં 12 માળમાં 234 એકમનું સંકુલ હોમ અવે ફ્રોમ હોમ સુવિધાનું ઉદઘાટન કર્યું. આ સમયે સેન્ટ જ્યુડ સેન્ટર્સનાં અધ્યક્ષા મનીષા પાર્થસારથિ, ટાટા મેમોરિયલ સેન્ટરના ડાયરેક્ટર ડો. સુદીપ ગુપ્તા, એસીટીઆરઈસીના ડાયરકેક્ટર ડો. પંકજ ચતુર્વેદી વગેરે હાજર હતા.
ગોઝારો અકસ્માત સર્જાયો:કારે પાંચ ટુ-વ્હીલરોને અડફેટે લેતાં ચારનાં મોત, ત્રણ ઘાયલ
થાણે જિલ્લાના અંબરનાથમાં શુક્રવારે સાંજે ૬:૪૨ વાગ્યે કાર ચલાવતી એક વ્યક્તિને હૃદયરોગનો હુમલો ઊપડ્યો હતો. આથી કારે કાબૂ બહાર જઈને સામેથી આવતાં કેટલાંક વાહનોને અડફેટે લીધાં હતાં, જે પછી કાર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ચાર જણનાં મોત થયાં હતાં, જ્યારે ત્રણ ઘાયલ થયા હતા. આ સમગ્ર ઘટના ફ્લાયઓવર પાસેના એક મકાન પર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તેમાં ફ્લાયઓવર પર મોટી ભીડ દેખાય છે, બંને બાજુથી વાહનો પસાર થઈ રહ્યાં હતાં. સાંજે 6:42 વાગ્યે, એક બેકાબૂ કારે ચારથી પાંચ બાઇકને ટક્કર મારી, જેમાં વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી બે બાઇકનો પણ સમાવેશ થાય છે અને તે પલટી ખાઈ ગઈ હતી. વિડિયોમાં જોવા મળે છે કે કાર બે બાઇકને ટક્કર મારી રહી છે, જેના કારણે એક બાઇક સવાર હવામાં થોડા ફૂટ ઉપર ઊડી ગયો અને ફ્લાયઓવરની બીજી બાજુ પડી ગયો. રસ્તા પરથી લોકો પણ પસાર થઈ રહ્યા હતા, પરંતુ સદનસીબે રસ્તા પર કોઈને ઈજા થઈ નથી.અકસ્માત બાદ ફ્લાયઓવર અને રસ્તા પર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. ત્યાર બાદ ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતમાં ચાર જણનાં મોત થયાં છે. અન્ય ત્રણ જણ ઘાયલ થયા છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ભારતના પ્રથમ વૈશ્વિક આબોહવા કૃતિ અને ઉકેલોના મંચ પૈકી એક, મુંબઈ ક્લાઈમેટ વીકે (એમસીડબ્લ્યુ)એ ફેબ્રુઆરી 2026માં આ મુખ્ય કાર્યક્રમ પહેલા ક્લાઈમેટ ઈનોવેશન ચેલેન્જના લોન્ચની જાહેરાત કરી. તે એક બહુપક્ષીય અને નવીન પહેલ છે જે ભારત અને ગ્લોબલ સાઉથમાં મોટા પાયે અમલમાં મૂકી શકાય તેવા નવીનતમ ક્લાઈમેટ સોલ્યુશન્સને ઓળખવા, પરીક્ષણ કરવા અને વ્યાપકપણે પ્રસારિત કરવા માટે રચાઈ છે. મહારાષ્ટ્ર સરકાર, મહાપાલિકા અને પ્રોજેક્ટ મુંબઈ સાથે ભાગીદારીમાં આયોજિત, એમસીડબ્લ્યુ એક એવું પ્લેટફોર્મ છે જે વિશ્વભરના આબોહવા નિષ્ણાતો, યુવાનો, નવીનતાઓ, નાગરિક સમાજ, વિદ્યાર્થીઓ, ઉદ્યોગ અને પરોપકારીઓને એકસાથે લાવે છે. આ કાર્યક્રમ 17-19 ફેબ્રુઆરી, 2026 દરમિયાન મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે. આ કાર્યક્રમનું ઉદઘાટન કરવા માટે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે.નેશનલ સ્ટોક એક્સચેન્જ આ પહેલનું નેતૃત્વ ઇનોવેશન ચેલેન્જ પાર્ટનર તરીકે કરશે. આનો ઉદ્દેશ આબોહવા પરિવર્તન ઘટાડો, અનુકૂલન અને સ્થિતિસ્થાપકતા માટે જરૂરી નવીનતાઓ પર પ્રકાશ પાડવાનો છે. સ્ટાર્ટઅપ્સ, વિદ્યાર્થીઓ, સંશોધકો, એનજીઓ, સીએસઓ, નવીનતાઓ અને આબોહવા ઉદ્યોગ સાહસિકોને ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. અંતિમ પ્રસ્તુતિ એમસીડબ્લ્યુ 2026માં મંચ પર કરવામાં આવશે.ગ્લોબલ સાઉથના ઘણા દેશોને આમંત્રિત કરવામાં આવ્યા છે અને સ્પર્ધા વૈશ્વિક મંચ પર ભારતના ઉકેલો પ્રદર્શિત કરશે. મહારાષ્ટ્ર સરકાર, માજી વસુંધરા, બીએમસી, મોનિટર ડેલોઇટ, એચટી પારેખ ફાઉન્ડેશન, ઇન્ડિયા ક્લાઇમેટ કોલાબોરેટિવ (આઈસીસી), શક્તિ ફાઉન્ડેશન, ડબલ્યુઆરઆઈ ઇન્ડિયા, યુનિસેફ, રેઈનમેટર ફાઉન્ડેશન, મહિન્દ્રા ગ્રુપ, ક્લાઇમેટ ગ્રુપ, એનજીએમએ અને ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ એમસીડબલ્યુને ટેકો આપ્યો છે, જેનાથી આ પહેલ વૈશ્વિક અને સ્થાનિક નેતૃત્વનો એક અનોખો સંગમ બની છે.મુંબઈ ક્લાઈમેટ વીક એક નાગરિક-કેન્દ્રિત પહેલ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તે ફિલ્મ, રસોઈ, કલા, રમતગમત, આરોગ્ય જેવા વિવિધ ક્ષેત્રોમાં ક્લાઈમેટ એક્શન, સંવાદ અને ક્લાઈમેટ સંબંધિત ચર્ચાઓ અને પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપશે. રાષ્ટ્રીય સેવા યોજના (એનએસએસ) સ્વયંસેવકોની મદદથી કોલેજો પણ આ પ્રક્રિયામાં મોટા પાયે સામેલ થશે.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:પત્નીની મદદમાં પતિ નોકરીમાં રજા મૂકી પાલનપુરથી મહેસાણા આવ્યા
ચૂંટણી પંચ દ્વારા સરની કામગીરી ઝડપી કરવા માટે સમગ્ર રાજ્યની સાથે જિલ્લામાં શનિવારે દરેક મતદાન બુથ ઉપર બીએલઓને ગણતરી ફોર્મ પરત લેવા બેસાડ્યાં હતાં. આ મહત્વની કામગીરી પૂરી કરવા બીએલઓ પર દબાણ કરાઇ રહ્યું છે, ત્યારે પરેશ દિલીપકુમાર દવે નામના વ્યક્તિ તેમની બીએલઓ પત્નીને સરની કામગીરીમાં મદદરૂપ થવા પાલનપુરથી છેલ્લા બે દિવસથી સરકારી નોકરીમાં રજા મૂકીને મહેસાણા આવ્યા છે. તેઓ વિવેકાનંદ સ્કૂલ બહાર ગણતરી ફોર્મ ભરી રહ્યા હતા. શહેરના જેલ રોડ પર વિવેકાનંદ હાઇસ્કૂલમાં હાજર મહિલા બીએલઓને કામગીરીમાં શું તકલીફો પડે છે કહેતાં જ તેમણે સાહેબ મુશ્કેલીઓ જ મુશ્કેલીઓ છે કહી, મને આપેલ રેલવે કોલોનીને પાડી દીધા બાદ તમામ મતદારો ત્યાંથી શિફ્ટ થઈ ગયા હોઇ તેમનું ફોર્મ અને વિગત ભરવી ખૂબ જ અઘરી પડી રહી છે. મોટાભાગના મતદારોને 2002ની યાદીની વિગત આપીએ તો તેઓ અમારા ઉપર વિશ્વાસ મૂકતા નથી. તેમાં પુરાવા તરીકે 2002ની યાદીમાં નામ શોધવા કોડ લગાવ્યારામોસણા ચોકડી વિસ્તારમાં આવેલા દેસાઈનગરમાં સ્થાનિક ભણેલા યુવકોએ લોકોને 2002ની યાદીમાં નામ શોધવામાં તકલીફ ન પડે તે માટે દુકાનોની બહાર દીવાલે અને સોસાયટીના બ્લેકબોર્ડ પર ક્યુઆર કોડ ચોંટાડ્યા છે. પતિ-પત્ની ઝગડ્યા તો ફોર્મ ફાડી નાંખ્યા : વિજાપુર પંથકનાગામના દંપતી વચ્ચે ઝઘડો થતાં સમયે ફોર્મ હાથમાં આવીજતાં ગુસ્સામાં ફાડી નાંખ્યા હતા . બીએલઓએ બીજાં ફોર્મઆપી સાચવીને ભરીને પરત કરી દેજો તેમ કહ્યું. BLOએ આપેલા ફોર્મ બકરી ખાઇ ગઇ : ફોર્મ પરત લેવાગયેલા બીએલઓને એક મતદારે કહ્યું કે, તમે જે ચાર ફોર્મભરવા આપ્યા હતા, તે અમારી બકરી ખાઇ ગઇ છે.બીએલઓએ ફોર્મ ન સાચવી શક્યાની ટકોર કરતાં મતદારેઉશ્કેરાઇ જઇને અમારે કંઇ ચૂંટણીકાર્ડની જરૂર નથી.2002ની યાદીમાં નામ શોધવા કોડ લગાવ્યા
અમેરિકાના ગ્રેમી નામાંકન પામેલા રૅપર ટ્રેવિસ સ્કોટના મુંબઈમાં તારદેવ સ્થિત સંગીત કાર્યક્રમમાં ચોરટાઓએ રૂ. 18 લાખથી વધુના દાગીના અને મોબાઈલ ફોનની હાથસફાઈ કરી હતી. 19 નવેમ્બરે મહાલક્ષ્મી રેસકોર્સમાં અમેરિકન રૅપર, ગાયક અને ગીતકાર સ્કોટનો સંગીત કાર્યક્રમ રખાયો હતો, જેમાં હજારો ચાહકો ઊમટી પડ્યા હતા. ચાહકો સ્કોટના તાલ પર ઝૂમી રહ્યા હતા ત્યારે ચોરટાઓના જૂથોએ ભરચક ટોળા વચ્ચે હાથસફાઈ કરી હતી. કુલ 24 મોબાઈલ ફોન અને 12 સોનાની ચેઈન ચોરાઈ ગયા હતા. સંગીત કાર્યક્રમ પૂરો થયા પછી જ ચાહકોને ધ્યાનમાં આવ્યું કે તેમની કીમતી મતા ચોરાઈ ગઈ છે. આ પછી 20 અને 21 નવેમ્બરે તારદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 303 (2) અને 304 હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ દ્વારા હવે ચોરટાઓને ઓળખવા માટે કાર્યક્રમના સ્થળે પ્રવેશદ્વાર પરના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. આ અગાઉ બીકેસી એમએમઆરડીએ ગ્રાઉન્ડ્સમાં સ્કોટના સંગીત કાર્યક્રમ સમયે રૂ. 23.85 મૂલ્યના 73 મોબાઈલ ફોન ચોરાઈ ગયા હતા, જેમાં હાઈ- એન્ડ મોબાઈલ ફોનનો પણ સમાવેશ થતો હતો. આ અંગે બીકેસી પોલીસ સ્ટેશનમાં સાત એફઆઈઆ દાખલ કરવામાં આવી છે. ચોરટાનું લક્ષ્ય બનેલામાં મેકઅપ આર્ટિસ્ટ, હોટેલિયર, વિદ્યાર્થી, પત્રકાર, વેપારી વગેરેનો સમોવશ થાય છે, જેમણે ટિકિટ માટે રૂ. 7000 જેટલી રકમ ખર્ચ કરી હતી. બીકેસીમાં દાખલ ફરિયાદનો ઉકેલ આવ્યો નથી ત્યાં તારદેવમાં પણ ચોરી થતાં સલામતી સામે પ્રશ્નચિહન ઊભું થયું છે. કડક તપાસ પછી જ પ્રવેશ અપાતો હોવા છતાં ચોરટા કઈ રીતે ઘૂસી ગયા અને કમાલ કરીને હવામાં ઓગળી ગયા તે વિશે અચરજની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે.

32 C