સરપ્રાઇઝ તપાસ:શહેરમાં લાયસન્સ વિના વાહન લઇને શાળાએ આવતાં 52 વિદ્યાર્થીઓને આરટીઓએ પકડ્યાં
મહેસાણા આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા શુક્રવાર સવારે શહેરની વિવિધ સ્કૂલોમાં સરપ્રાઇઝ તપાસ હાથ ધરી હતી. જેમાં લાયસન્સ વિના વાહન લઇને આવતાં 52 છાત્ર-છાત્રોને પકડયા હતા . આરટીઓ અધિકારી એસ.એમ. પટેલે જણાવ્યું કે, શુક્રવાર સવારે 6 કલાકે આરટીઓ અને ટ્રાફિક પોલીસના 15 અધિકારીઓની 5 ટીમોએ શહેરની જુદી-જુદી સ્કૂલોમાં આકસ્મિક તપાસ કરી હતી. જેમાં કુલ 60 વાહન માલિકોને રૂ.2.44 લાખનો દંડ કરાયો છે. જેમાં 8 સ્કૂલ વાહનો અને 52 છાત્રો-ઝડપાયા છે. મોટાભાગના છાત્રો પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હતા, 17 વાહન ડિટેઇન કર્યા છે. વાહનો છોડાવવા અને દંડ ભરવા આવતાં વાલીઓને 16 થી 18 વર્ષની અંદર આવતાં બાળકોને મળતાં લાયસન્સ વિશે જાણકારી સાથે સંભવિત જોખમો અંગે ચર્ચા કરવામાં આવશે. ઓછી સ્પીડવાળાં ઇ-વ્હિકલનું ચલણ વધ્યુંઆરટીઓની આ તપાસમાં મોટાભાગના બાળકો હવે ઇલેક્ટ્રિક ટુ-વ્હિલર લઇને સ્કૂલે આવતાં જોવા મળ્યા હતા. એમાં પણ ઓછી સ્પીડવાળા એટલે કે, 25 કિમીની મર્યાદિત સ્પીડવાળા વ્હિકલ વધુ જોવા મળ્યા હતા. આવા વ્હિક્લથી અકસ્માતનું જોખમ ઓછું રહે છે.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:છોટાઉદેપુર જિલ્લામાં ISI માર્કા વગરની રોજગાર કીટનું લાભાર્થીઓને વિતરણ
છોટા ઉદેપુર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રોજગારી માટે કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં મોટા પાયે ગોબાચારી થઈ હોવાનો અરજદારો આક્ષેપ કરી રહ્યા છે. લાભાર્થીઓને ચાલુ કંપનીનો સામાન પધરાવવામાં આવી રહ્યો છે. જેને લઇને લાભાર્થીઓ રોષ જોવા મળી રહ્યો છે. છોટા ઉદેપુર જિલ્લામાં જિલ્લા રોજગાર કચેરી દ્વારા જિલ્લાના રોજગાર મેળવવા માંગતા લોકોને રોજગારી મળે તે માટે વિવિધ સહાય આપવામાં આવે છે. જેમાં કારીગરોને જરૂરી કીટનો લાભ સરકારે નક્કી કરેલી એજન્સી મારફતે લાભાર્થીને આપવામાં આવી રહ્યો છે. જેમાં હલકી કક્ષાનો માલ સામાન આપવામાં આવી રહ્યો છે. જેને લઇને લાભાર્થીઓ રોષ જોવા મળી રહ્યો છે. હાલ જિલ્લામાં કુલ 746 લાભાર્થીઓની ડ્રો મારફતે પસંદગી કરવામાં આવી છે. જેને અલગ અલગ એજન્સીઓ મારફતે કીટનું વિતરણ કરાઈ રહ્યું છે. જેમાં ISI માર્કા વગરના અને હલકી કક્ષાનો સામાન લાભાર્થીઓને પધરાવવામાં આવી રહ્યો હોવાનુ અરજદારો જણાવી રહ્યા છે. અને સારી ગુણવત્તાવાળો સામાન આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. કીટમાં અપાયેલી વસ્તુઓ પર ISI માર્કો પણ નથીહું ટવાથી આવ્યો છું. ઇલેક્ટ્રિશિયનની કીટ માટે અરજી કરી હતી. એ કીટ લેવા આવ્યો છું. આ કીટમાં મટીરિયલ હલકી કક્ષાનું છે. ISI માર્કો પણ નથી. એક વાર મળે તો સારું મળવું જોઈએ. જેથી અમે ઉપયોગ કરી શકીએ. > કૈલેશભાઈ રાઠવા, લાભાર્થી, ટવા અમારી સાથે છેતરપિંડીકરી હોય તેવું લાગે છેમે માનવ કલ્યાણ યોજનામાંદરજીકામના સાધનની અરજીકરી હતી. મારા મોબાઇલમાંSMS આવ્યો કે તમારી કીટપાસ થઈ ગઈ છે. જેથી અમેલાઇનમાં ઊભા રહ્યા, સાધનડુપ્લીકેટ આપે છે, ISI માર્કાવગરના આપે છે. અમારી સાથેછેતરપિંડી કરી હોય તેવું લાગેછે. > વિષ્ણુભાઈ બાલુભાઈતડવી, લાભાર્થી, સંખેડા તાલુકોઅરજદાર તરફથી કચેરીએકોઈ રજૂઆત આવી નથી એજન્સીઓ જે પ્રોવાઈડ કરે તે પ્રમાણે અમે વિતરણ કરીએ છીએઆ ગુજરાત સરકાર દ્વારા પૂરી પડાય છે. આ અલગ અલગ લાભાર્થીને 8થી 9 જાતની કીટ અપાય છે. સરકાર જે તે એજન્સીઓને આપતી હોય છે. અમે અલગ અલગ વેન્ડર છે. અમને પણ કમિશન પર રાખતા હોય છે. આખો જિલ્લો અલગ અલગ એજન્સીઓને આપવામાં આવે છે. ઉપરથી એજન્સીઓ જે પ્રોવાઇડ કરે તે પ્રમાણે વિતરણ કરીએ છે. હલકી કક્ષા આવે તો લોકો વાપરે તેની ઉપર ડીપેન્ડ કરે. વસ્તુ સરકાર જે તે એજન્સીઓને આપે એજન્સીઓ વસ્તુ ખરીદે, પછી વેન્ડરને આપે. > અંકિત વસાવા, વિતરક, કવાંટ અરજદાર તરફથી કચેરીએ કોઈ રજૂઆત આવી નથીમાનવ કલ્યાણ યોજનામાં પસંદગી પામેલા લાભાર્થીઓને વિવિધ એજન્સીઓ મારફતે ટૂલકિટ આપવાની થાય છે. આમાં કોઈ ગરબડી હોય કે કોઈ પ્રકારની હોય તેવી અરજદાર તરફથી કચેરીએ કોઈ રજૂઆત આવેલી નથી. અરજદાર કોઈ રજૂઆત કરશે તો ચોક્કસ વડી કચેરીને જાણ કરી આગળની કાર્યવાહી કરાશે. અમુક એવી આઇટમ હોય કે જેમાં ISI માર્કો નથી હોતો. એ ટેન્ડરીંગની શરતો પ્રમાણેનું કામ હોય છે. હાલ 746 લાભાર્થીઓ છે. વિસ્તરણ એજન્સી કરતી હોય છે. > નરપત વોરા, મદદનીશ કમિશ્નર, જિલ્લા રોજગાર કચેરી, છોટા ઉદેપુર
સામૂહિક રાજીનામાની ચીમકી:અનુસૂચિત જાતિ મોરચાના નવનિયુક્ત મહિલા પ્રમુખ સામે સભ્યોનો વિરોધ
પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ મોરચાના નવનિયુક્ત મહિલા પ્રમુખ સામે અનુસૂચિત જાતિ મોરચાના સભ્યોએ મોરચો મોડયો છે.અને મહિલા પ્રમુખને હટાવવા ઉગ્ર માંગ કરી છે. પાટણ જિલ્લા કોંગ્રેસના અનુસૂચિત જાતિ વિભાગમાં નવો વિવાદ સર્જાયો છે.પ્રદેશ કોંગ્રેસે નવા મહિલા પ્રમુખની નિમણૂક કરતા જ જિલ્લાના આગેવાનો અને કાર્યકરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિક નેતાઓએ ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખ સમક્ષ પહોંચીને હસમુખ સક્સેનાને પ્રમુખ તરીકે ચાલુ રાખવા પર ભાર મૂક્યો છે અને નવનિયુક્ત મહિલા પ્રમુખની નિમણૂક તાત્કાલિક સ્થગિત કરવાની માંગ કરી છે. જો આ મામલે નિરાકરણ નહીં આવે તો, પાટણ જિલ્લાના તમામ તાલુકાના આગેવાનો અને હોદ્દેદારો સામૂહિક રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારી છે. જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તોડફોડ કરવાની ચીમકી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના હરગોવનભાઈ મકવાણા દ્વારા આપવામાં આવી છે.
સરકારમાં રજૂઆત:પાટણ નગર પાલિકામાં ટાઉન પ્લાનર વગર બાંધકામ મંજૂરી અને DP પ્લાનમાં વિલંબ
પાટણ નગરપાલિકામાં કાયમી જુનિયર ટાઉન પ્લાનર ન હોવાને કારણે શહેરીજનોને બાંધકામની મંજૂરી મળવામાં વિલંબ થઈ રહ્યો મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, શહેરના વિકાસના નવા આયોજન ઉપર સીધી બ્રેક લાગી છે.જેથી તાત્કાલિક ધોરણે નવા જુનિયર ટાઉન પ્લાનર મુકવા માટે પાલિકા પ્રમુખ દ્વારા સરકારમાં રજૂઆત કરાઈ છે. પાટણ નગરપાલિકામાં કાયમી જુનિયર ટાઉન પ્લાનરની દોઢ મહિના પહેલા બદલી થતાં ઊંઝાના અધિકારીને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. અધિકારી પાસે બે ચાર્જ હોય સમય અનુકૂળતાએ પાલિકામાં આવતા હોય જેને લઇ પાટણમાં નવા મકાનો કે કોમર્શિયલ પ્રોજેક્ટ માટેના નકશા મંજૂરી (નકશા પાસ) અને બાંધકામ પરવાનગીઓની ફાઈલો લાંબા સમયથી મંજૂરીના અભાવે પડી રહે છે. આના કારણે શહેરીજનોના આયોજનો અટવાયા છે. ઉપરાંત ટેક્નિકલ દેખરેખના અભાવે શહેરમાં અનિયંત્રિત વિકાસ થવાની કે ગેરકાયદે બાંધકામોની પ્રવૃત્તિઓ વધવાની શક્યતા ઊભી થઈ છે.સાથે શહેરના લાંબા ગાળાના આયોજન માટે અત્યંત મહત્ત્વના ગણાતા ડેવલપમેન્ટ પ્લાન (DP) અને નવી ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમની પ્રક્રિયા શરૂ થતાં પહેલા જ ખોરંભે પડી છે. નવા રોડ, ડ્રેનેજ કે અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના DPR (ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ) તૈયાર કરવામાં અને તેના ટેક્નિકલ ઓપિનિયન મેળવવામાં ધીમો પેસ જોવા મળી રહ્યો છે.જેથી નગરપાલિકા પ્રમુખ હિરલ પરમારે શહેરી વિકાસ તથા શહેરી ગૃહ નિર્માણ વિભાગને રજૂઆત કરી છે કે જો તાત્કાલિક કાયમી જુનિયર ટાઉન પ્લાનરની તાત્કાલિક નિમણૂક કરવા માંગ કરી હતી.
ઐતિહાસિક પાટણ શહેરમાં પ્રવેશતા પ્રવાસીઓના આકર્ષક માટે નિર્મળ ગુજરાત 2.0 હેઠળ પાટણના એન્ટ્રી પોઇન્ટ ઊંઝા ત્રણ રસ્તાથી બ્રહ્માકુમારી સુધીના બે કિલોમીટર માર્ગને 80.74 લાખના ખર્ચે શહેરમાં સૌપ્રથમ આઇકોનિક રોડ’ બનાવાયો હતો. જેમાં ભીત પર રંગબેરંગી પેઈન્ટિંગ, સુશોભિત બેઠક અને નવી સ્ટ્રીટ લાઇટની કામગીરી પૂર્ણ થવા છતાં હાલમાં પાલિકા આ આઇકોનિક રોડની સ્વચ્છતા, સુંદરતા અને સંભાળ માટે બેદરકારી દાખવતા આ રોડની દુર્દશા થઈ ગઈ છે.ભારે ખર્ચ છતાં, માર્ગની બંને બાજુ અને લાઇટ પોલ નજીક કચરાના ઠેરઠેર ઢગલા જોવા મળી રહ્યા છે. હરિયાળી માટે રોડની વચ્ચે વાવેલા અસંખ્ય વૃક્ષ પાણીના અભાવે ક્યાંક સુકાઈ ગયા તો મોટા ભાગે ખુલ્લા વૃક્ષ પશુઓ ચરી જતા હાલમાં જોવા જ મળી રહ્યા નથી. રસ્તા પર કરેલ બેઠક સ્થળો પાસે ગંદકી છવાયેલી છે. સ્થાનિક નાગરિકોનો બેસવાનું તો ઠીક ઊભું રહેવા લાયક નથી.સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે ખર્ચે કરી રોડ બનાવો મહત્વનો નથી.પરતું રોજબરોજની જાળવણી ન થાય, તો આ આઇકોનિક રોડ માત્ર કાગળ પરનો ખર્ચ બનીને જ રહેશે. પાલિકા તાત્કાલિક સ્વચ્છતા અને જાળવણી કરી સૌંદર્ય વધારવા કાર્યવાહી કરવી જોઈએ.
બાર એસોસિએશનની ચૂંટણી:ખંભાળિયા બાર એસો.ના પ્રમુખ પદ માટે એક મહિલા સહિત ત્રણ ઉમેદવાર મેદાને
ખંભાળીયા બાર એસોસિએશનની ચૂંટણી આગામી શુક્રવાર તા. 19-12-25ના રોજ ખંભાળીયા કોર્ટ બિલ્ડીંગમાં યોજાશે.જેમાં એક મહિલા સહિત ત્રણ ઉમેદવારો પ્રમુખ પદ માટે મેદાનમાં ઉતર્યા છે જેમાં 191 સભ્યોનો સમાવેશ થાય છે છેલા સાત વર્ષથી ખંભાળિયા વકીલ મંડળ બિન હરીફ રહ્યું છે પરંતુ આ વખતે ચૂંટણી યોજાનાર છે. ખંભાળીયા વકીલ મંડળમાં કુલ 191 મતદારોને સમાવેશ થાય છે. જેમાં ખંભાળીયાના વકીલ મંડળના પૂર્વ પ્રમુખ સંજયભાઈ જોશી જેઓ ઘણા સમયથી ખંભાળીયા બાર એસોસિએશન પ્રમુખ તરીકે બિનહરીફ કાર્યરત છે તેમજ સંજયભાઈ આંબલીયા જેઓ હાલમાં રેવન્યુ પ્રેક્ટિસનર્સ એડવોકેટ ગ્રુપના પ્રમુખ તરીકે કાર્યરત છે તેમજ મહિલા ઉમેદવાર સંગીતાબેન મોદી જેઓ મંડળની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે . એક મહિલા સહિત ત્રણ ઉમેદવારો પ્રમુખપદ માટે મેદાનમાં ઉતર્યા છે. જ્યારે ઉપપ્રમુખ માટે આર.એમ.જામ, ટી.જે.વિઠલાણી અને દવુભાઈ ચાવડા, સેક્રેટરી પદ માટે એસ.એલ.માતંગ, અને અમીબેન ધ્રુવ ઉમેદવાર છે જ્યારે જોઈન્ટ સેક્રેટરી ડી.ડી.લુણા અને ટ્રેઝરરમાં મહિલા અનામતમાં ધારાબેન કાનાણી તેમજ સહ ખજાનચી જયકુમાર કુવા અને લાઈબ્રેરીયન રવિરાજસિંહ જાડેજા બિનહરીફ વિજેતા થયા છે. જોકે, ખંભાળિયા વકીલ મંડળના પ્રમુખ સહિતના પદ માટે ઉમેદવારો મેદાને છે ત્યારે આગામી 19 તારીખને શુક્રવારના રોજ ખંભાળીયા કોર્ટ બિલ્ડીંગમાં સવારના 10 વાગ્યાથી બે વાગ્યા સુધી ચૂંટણી યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ખંભાળીયા વકીલ મંડળમાં છેલ્લા સાતેક વર્ષથી પ્રમુખ સહિતના પદ બિનહરીફ થયા છે અને છેલ્લા સાત વર્ષથી સંજયભાઈ જોશી બિનહરીફ પ્રમુખ તરીકે કાર્યરત રહ્યા છે જોકે આ વખતે મહિલા સહિત પ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવારો મેદાને છે તેમાં જોવાનું રહ્યું કે, હવે કોના શિરે પ્રમુખ સહિતના પદ માટે તાજ પહેરવામા આવશે.
ટ્રાફિક ઝોન:પાટણમાં પોલીસવડાની કચેરીથી માત્ર 200 મીટર દૂર ચાર રસ્તા ટ્રાફિક ઝોન બન્યું
પાટણ શહેરમાં જિલ્લા પોલીસવડાની કચેરીથી 200 મીટરના અંતરે શહેરના ભરચક વિસ્તાર સિદ્ધપુર ચાર રસ્તા ઉપર ટીબી ત્રણ રસ્તા તરફ જવાના રોડ ઉપર જ ખાનગી વાહનો અડિંગો જમાવીને પેસેન્જર ભરતા હોય છે. નવા માર્કેટયાર્ડ તરફના રસ્તા ઉપર ઓટો રીક્ષાઓ ગોઠવાઈ જાય છે. સર્વિસ રોડની બાજુમાં શાકભાજી અને ખાણીપીણીની લારીઓ પણ જાહેર રોડ ઉપર જ ઉભી કરી રસ્તો અડધો બ્લોક કરી દેવાય છે. ઉપરથી ખાનગી વાહનોના બ્રિજ નીચે ગેરકાયદેસર પાર્કિંગના કારણે વિશાળ રસ્તાઓ હાલમાં સાંકડા બની ગયા હોય મોટા ટ્રક અને બસો જેવા વાહનોને પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ભારે વાહનો વળાંક લેવા દરમિયાન અટકી પડતા પાછળ વાહનોની કતાર લાગતા ચાર રસ્તા પર ટ્રાફિક સર્જાઈ જાય છે. બ્રિજ બન્યા બાદ પણ દિવસમાં વારંવાર સર્જાતાં ટ્રાફિકને લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. સૌથી મોટી વિડંબણા એ છે કે જિલ્લા પોલીસવડા પોતે પણ સવાર-સાંજ આ જ માર્ગ પરથી અવર-જવર કરે છે. અધિકારીઓની કાયમી અવર-જવર હોવા છતાં આ જાહેર માર્ગ પરના ગેરકાયદે દબાણ અને ટ્રાફિક વ્યવસ્થાપન તરફ તંત્ર દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી હોય જેના કારણે ભારે વાહન ચાલકો તેમજ સ્થાનિક પ્રજાને ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો હોય રોષ જોવા મળી રહ્યો છે.
ખંભાળીયામાં આઝાદીના સમય પહેલા જામનગરના રાજવી જામ રણજીતસિંહ દ્વારા અંગ્રેજોના સમયમાં ખંભાળીયામાં દાતા ગોપાલજી વાલજી જેરાજાણી પરિવારના આર્થિક સહયોગથી તે સમયના સવા લાખ રૂપિયામાં ભવ્ય અને રાજમહેલ જેવી જી.વી.જે. હાઇસ્કુલ બનાવેલી હતી. જે એક સમયે ખંભાળીયાની એક માત્ર હાઇસ્કુલ હતી જે હાઇસ્કુલમાં આઈએએસ સચિવ પી.વી.ભટ્ટ, સાંસદ પરિમલ નથવાણી, ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારીયા, પૂર્વ મંત્રી હકુભા જાડેજા સહિત વિશ્વના અનેક દેશોમાં હાલ વસતા લોકો આ શાળાના પુર્વ વિદ્યાર્થી છે. ખૂબ જ ભવ્ય અને જે શાળાનું પરિણામ મુંબઈ રાજ્યમાં ખંભાળીયા હતું ત્યારે 100 ટકા આવતું તથા કડક શિસ્ત માટે જાણીતી આ હાઇસ્કુલમાં એક સમયે 25-30 વર્ગો હતા તે પછી 2001ના ભૂકંપમાં આ જૂનું બિલ્ડીંગ જર્જરિત થઈ ગયું અને પાછળના ભાગમાં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પ્રયાસોથી કરોડોનું બિલ્ડીંગ પણ બનાવાયું. જૂનું બિલ્ડીંગ જર્જરિત હોય તોડી પાડવા માટે હુકમ કરાયો હતો. પણ જી.વી.જે. હાઇસ્કુલના પૂર્વ શિક્ષકો, પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા એક લાંબી લડત શરૂ કરાઇ આ બિલ્ડીંગને બચાવવા તથા પુરાતન જી.વી.જે. હાઇસ્કુલ હિતરક્ષક સમિતિ પણ બની હતી. ડો.વી.કે.નકુમ, સ્વ.ડી.એમ.ભટ્ટ, સ્વ.નરોત્તમભાઈ હર્ષ, હિતેન્દ્ર આચાર્ય, ધીરેનભાઈ બદીયાણી વગરે દ્વારા જહેમત શરૂ થઈ જેમાં સાંસદ પૂનમબેન માડમ, તત્કાલીન મંત્રી હકુભા જાડેજા, રાજ્યસભા સાંસદ પરીમલ નથવાણી, પૂર્વ મંત્રી મુળુભાઈ બેરા વગરે ની મદદ તથા સમિતિના સદસ્યોની વારંવાર રજુઆત તથા ઝારખંડ તથા ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ પ્રદીપ ભટ્ટની જહેમત રંગ લાવી હતી. કરોડોના ખર્ચે આ જી.વી.જે. હાઇસ્કુલનો પુરાતન રૂપમાં જે સ્થિતિમાં મૂળ બિલ્ડીંગનો ભાગ હતો તેજ રીતે લાકડું પથ્થર વાપરીને તેજ ડિઝાઇનમાં તેનું નવું રૂપ કરવાનું નક્કી થયું અને મૂળ જોડિયા જામનગરના સવાણીભાઈ કોન્ટ્રાક્ટર દ્વારા આ અદ્દભુત નવું સ્વરૂપ તૈયાર થયું જેનું ગુરૂવારે લોકાર્પણ થયું હતું. ઉલ્લેખનીય છેકે વિશાળ જી.વી.જે. હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં તેના બિલ્ડીંગમાં જ અગાઉ જિલ્લા પોલીસ વડા સહિતની ચાર કચેરીઓ બેસતી હતી તથા હાલ આ બિલ્ડીંગમાં નવીનીકરણ વાળા બિલ્ડીંગમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવન બેસે છે જ્યારે અન્ય બિલ્ડીંગમાં જી.વી.જે. હાઇસ્કુલ તથા પાસે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પણ બેસે છે. અગાઉ જ્યાં હાઇસ્કુલ બેસતી તે પ્રાચીન બિલ્ડીંગમાં હવે પી.ટી.સી. કે બી.એડ. કોલેજના છાત્રો બેસશે તે પણ આ બિલ્ડીંગ માટે ગૌરવની વાત ગણાય છે. બોકસ-1 પુર્વ છાત્રો વસ્યા છે . વિશ્વના અનેક દેશોમાં ખંભાળિયાની જી.વી.જે. હાઇસ્કુલ એવી હાઇસ્કુલ છે જેના છાત્રો હાલ આફ્રિકા, ઇંગ્લેન્ડ, રશિયા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, દુબઈ, સહિતના અનેક દેશોમાં વસે છે અને અહીં આવે ત્યારે પોતાની પ્રાચીન શાળા નિહાળે છે તેઓ પણ આ નવનિર્માણના બિલ્ડીંગની ખૂબ આનંદિત થયા છે. પૂર્વ છાત્રો વસ્યા છે વિશ્વના અનેક દેશોમાં ખંભાળિયાની જી.વી.જે. હાઇસ્કુલ એવી હાઇસ્કુલ છે જેના છાત્રો હાલ આફ્રિકા, ઇંગ્લેન્ડ, રશિયા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, દુબઈ, સહિતના અનેક દેશોમાં વસે છે અને અહીં આવે ત્યારે પોતાની પ્રાચીન શાળા નિહાળે છે તેઓ પણ આ નવનિર્માણના બિલ્ડીંગની ખૂબ આનંદિત થયા છે.
દૂધસાગર ડેરીમાં મતદારો વધુ હોવા છતાં પાટીદાર પ્રતિનિધિત્વ ઉપર કાતર ફેરવાઇ હોવા મામલે ઉઠેલા વિવાદને પગલે ડેરીમાં સાૈથી વધુ 39 ટકા દૂધ ભરાવનાર ચાૈધરી સમાજના અશોક ચૌધરીને ચેરમેન પદે રિપીટ કરાયા છે. તો સાૈથી વધુ દૂધ મંડળીઅો ધરાવતા પાટીદાર સમાજના, માણસાના ડિરેક્ટર દશરથભાઈ પટેલની વાઇસ ચેરમેન પદે સર્વાનુમતે વરણી કરાઈ છે. નિયામક મંડળના 17 ડિરેક્ટરો હાજરીમાં મળેલી બેઠકમાં, ભાજપના મેન્ડેટ મુજબ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીની કાર્યવાહી માત્ર 12 મિનિટમાં પૂરી થઈ હતી. ચેરમેન અશોક ચૌધરીએ જણાવ્યું કે, આ માત્ર ધંધો નથી, પરંતુ એક શ્રદ્ધા છે અને આ ધંધામાં એક રૂપિયાની પણ ગડબડ થાય તો ભગવાન પણ માફ ન કરે. દૂધસાગર ડેરીને પશુપાલકો માટે એક મંદિર સમાન ગણાવી, ફરી પાંચ વર્ષની જવાબદારી મળી છે એમ કહી ભાવુક થઇ ગયા હતા. આંખો લૂસીને કહ્યું કે, ગત પાંચ વર્ષમાં તેમણે આ પદ (ઝભ્ભા) ઉપર કોઈ દિવસ ડાઘ પડવા દીધો નથી, હવે પણ ડાઘ પડવા દઇશ નહીં. પશુપાલક પ્રશ્નો લઈને આવે અને હસતાં હસતાં જાય ત્યારે જ સાચો આનંદ થાય છે. ગત પાંચ વર્ષમાં જે કામો થયા, તે કેવળ અને કેવળ પશુપાલક સુખી થાય અને ડેરી મજબૂત કરવાના હતા. તેમણે કહ્યું કે, ગત 5 વર્ષમાં કામો કર્યા તેના લીધે ટર્નઓવર વધ્યું છે. 5 વર્ષમાં પાવડર પ્લાન્ટ, દિલ્હીમાં પનીર પ્લાન્ટ વગેરે થયા છે. આવનાર દિવસોમાં ડેરીમાં ચીઝ પ્લાન્ટ અને બીજી અલગ અલગ પ્રોડક્ટ બનાવવાનું આયોજન છે. હાલ ડેરીમાં 42 લાખ લિટર દૂધ આવે છે, આવનાર બે વર્ષમાં 50 લાખ લિટર દૂધ આવે તે સંક્લ્પ સાથે કામ કરી રહ્યા છીએ. તેમણે યુવાનો પશુપાલનથી વિમુખ ન થાય તેની ચિંતા વ્યક્ત કરી યુવાનો માટે 50 ગાય-ભેંસનો મોડેલ તબેલો બનાવવાની યોજના રજૂ કરી. આ તબેલો તૈયાર થયા પછી યુવાનોને ત્રણ દિવસની તાલીમ અને બેંક લોન માટે મદદ અથવા ડેરી દ્વારા લોન આપવાની વ્યવસ્થા કરવામાં આવશે.
ઝળહળતી સિદ્ધિ:દ્વારકાની છાત્રા સુગમ સંગીત સ્પર્ધામાં પ્રદેશકક્ષાએ દ્વિતીય
કલા મહાકુંભના પ્રદેશકક્ષાના આયોજનમાં મુળ દ્વારકાની હાલ પોરબંદરની બોખીરાની પે સેન્ટર શાળાની વિદ્યાર્થીનીએ દ્વિતીય ક્રમ મેળવ્યો છે. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃત્તિની કચેરી અમરેલી દ્વારા તાજેતરમાં અમરેલી ખાતે સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાના કલા મહાકુંભ૨૦૨૫-૨૬ ની વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામા આવેલ હતુ. આ સ્પર્ધામાં મુળ દ્વારકાના અને હાલ પોરબંદરની સરકારી પી. એમ. બોખીરા પે સેન્ટર પ્રાથમિક શાળાની ધો-6માં અભ્યાસ કરતી અબોટી બ્રામણ સમાજની કાવ્યા મનસુખભાઈ ઠાકરે કલા મહાકુંભ સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાની 6 થી 14 વય જૂથ સ્પર્ધામાં દ્વિતીય નંબર મેળવી શાળા,અબોટી સમાજ, દ્વારકા અને પોરબંદર જિલ્લાનું ગૌરવ વધારવા બદલ અભિનદન વર્ષા થઈ છે અમરેલી ખાતે સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાની કલા મહાકુંભ-2025 સ્પર્ધા યોજાઈ હતી. જેમાં લોક ગીત, ભજન સમૂહ ગીત લોકનૃત્ય જેવી વિવિધ સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં મુળ દ્વારકા અને હાલ પોરબંદરની બોખીરા પે સેન્ટર શાળામાં ધો-૬ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કાવ્યા મનસુખભાઈ ઠાકરે સુગમ સંગીત સ્પર્ધામાં દ્વિતીય નંબરે વિજેતા થતા પોરબંદર જિલ્લાનું ગૌરવ વધારવા બદલ અભિનંદન વર્ષા થઈ છે. કાવ્યાબેનના પિતા મનસુખભાઈ ઠાકર મોઢવાડાની વી.જી.કારીયા માધ્યમિક શાળામાં ગુજરાતી શિક્ષક તરીકે ફરજ બજાવે છે, તેઓ જાણીતા સાહીત્યકાર, કવિ વક્તા છે ત્યારે તેઓની પુત્રી કાવ્યાએ સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષાએ સુગમ સંગીતમાં દ્વિતીય નંબરે વિજેતા થતા મોરનાં ઈંડા ચીતરવા ન પડે''''એ કહેવત સાર્થક કરી છે, આથી શિક્ષણ જગતના સારસ્વ તો ગૌરવની લાગણી અનુભવે છે નાની ઉમરે શિક્ષકની પુત્રીએ આ સિધ્ધિ મેળવવા બદલ અભિનંદન આપ્યા હતા.
ઉત્કૃષ્ટ પ્રદર્શન:રાજ્યકક્ષાએ ટેક્વોન્ડોમાં સુવર્ણચંદ્રક જીત્યુ, ગૌરવ
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત ચાલતી ટેક્વોન્ડો ઇન-સ્કૂલ યોજના હેઠળ શ્રી સાંઈ વિદ્યા સંકુલ જોડીયામાં તાલીમ લઈ રહેલા વિદ્યાર્થી શિવમ હિતેશભાઈ સાંચલાએ તાજેતરમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. તા. 7 ડિસેમ્બર 2025ના સુરતમાં યોજાયેલી 3rd ઓપન ગુજરાત સ્ટેટ ટેક્વોન્ડો ચેમ્પિયનશિપ 2025 અને 2nd ફેડરેશન કપ માટેની પસંદગી ટ્રાયલમાં શિવમે શાળાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ સ્પર્ધામાં તેણે કેડેટ વય જૂથમાં-61 કિલોગ્રામ વજન જૂથમાં જોરદાર પ્રદર્શન કરીને સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિ દ્વારા શિવમે માત્ર શાળાનું જ નહીં પરંતુ સમગ્ર જામનગર જિલ્લા સહિત દરજી સમાજનું ગૌરવ વધાર્યું છે અને તેનું આ પ્રદર્શન આગામી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ માટે આશા જગાવે છે. શિવમની આ પ્રેરણાદાયી સફળતા બદલ જિલ્લા રમત ગમત અધિકારી, ટીમ મેનેજર અને શ્રી સાંઈના આચાર્ય જગદીશ વિરમગામા તેમજ શાળાના ટ્રસ્ટીઓ અને શિક્ષકગણે છાત્રને બિરદાવ્યો છે. આ સિદ્ધિ પાછળ ખેલાડીની મહેનતની સાથે સાથે કોચ જયવિરસિંહ સરવૈયાનું કુશળ માર્ગદર્શન પણ નિર્ણાયક રહ્યું છે. શિવમની આ જીત અન્ય ખેલાડીઓ માટે પણ રમતગમતના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટેની પ્રેરણા સ્ત્રોત બની રહેશે.
અનઅધિકૃત દબાણો દૂર કરાયા:દબાણ હટાવ ઝૂંબેશ, 20થી વધુ અડચણરૂપ રેકડીં-કેબીન હટાવાયા
શહેરમાં મહાનગરપાલિકા દ્વારા માર્ગો પર અડચણરૂપ દબાણોને દૂર કરવાની કાર્યવાહી યથાવત રખાઇ છે જેમાં શુક્રવારે શરૂ સેકશન રોડ સહિતના વિસ્તારોમાં માર્ગો પર અડચણરૂપ રેકડીઓ, કેબીનો અને પતરા વગેરે સહિત વીશથી વધુ દબાણોને એસ્ટેટ શાખા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા સપ્તાહના પ્રારંભથી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જે શુક્રવારે પણ યથાવત રખાઇ હતી.જેમાં મેરેથોન તથા સાયકલોથોન રૂટ પર એસ્ટેટ શાખા દ્વારા માર્ગોને અડચણરૂપ દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. શહેરના શરૂ સેકશન રોડ, બેડેશ્વર ઓવરબ્રિજ સહિતના વિસ્તારમાં રેંકડીઓ, કેબીનો ઉપરાંત પતરાઓ વગેરેને તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.એસ્ટેટ ટીમ દ્વારા દિવસ દરમિયાન લગભગ વીશથી વધુ આવા નડતરરૂપ દબાણોને હટાવાયા હતા. એસ્ટેટ દ્વારા શહેરના માર્ગો પર અડચણરૂપ દબાણોને દૂર કરવાની કાર્યવાહી અવિરતપણ ચાલુ રખાઇ છે. અત્રે ઉલ્લેખનીય છેકે, મનપા દ્વારા છેલ્લા પાંચ દિવસ દરમિયાન દશ રેકડીઓ, પાંચ કેબીનો ઉપરાંત 40થી વધુ નાના મોટા પથારા સહિતનો સામાન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં શહેરના દરબારગઢ, બ્રર્ધન ચોક, માંડવી ટાવર, સેન્ટ્રલ બેન્ક ,રણજીત રોડ, જી.જી.હોસ્પિટલ રોડ, દિ,પ્લોટ, ઓશવાળ હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં તંત્ર દ્વારા દબાણો દૂર કરાયા હતા.
જામનગરના વિમાની મથકે શુક્રવારે સવારે ભારતીય ટીમના પુર્વ કેપ્ટન જાણીતા ક્રિકેટર રોહિત શર્મા, પત્ની અને બે સંતાનો સાથે ઉતર્યા હતા.તેઓ ચુસ્ત સિકયુરીટી વ્યવસ્થા વચ્ચે કાર મારફતે રીલાયન્સના વનતારા જવા માટે રવાના થયા હતા. જે દરમિયાન બપોરે બોલીવુડ સ્ટાર અભિનેતા રણબીર કપુર અને તેના પત્ની અભિનેત્રી આલીયા ભટ્ટ પણ પરીવાર સાથે એરપોર્ટ પર આવી પહોચ્યા બાદ વનતારા જવા કારમાં પ્રસ્થાન કર્યુ હતુ.
વેધર રિપોર્ટ:શહેરમાં આંશિક વધારા સાથે પારો 13 ડિગ્રી, ઠંડીનું મોજું
જામનગર શહેર સહિત જિલ્લાભરમાં ઘીરે ધીરે શિયાળો આગવો મિજાજ દર્શાવી રહયો છે.સતત બે દિવસથી સાડા બાર ડિગ્રી આસપાસ સ્થિર રહેલો લઘુતમ પારો આંશિક ઉંચકાયો હતો અને 13 ડિગ્રી પર પહોચ્યો હતો.જોકે, મહતમ તાપમાનમાં પણ એક ડિગ્રીનો ઘટાડો થતા મોડીસાંજથી સવાર સુધી વાતાવરણ ટાઢુબોળ રહયુ હતુ. જામનગર સહિત હાલારભરમાં હેમાળો માગસર માસના અંતિમ સપ્તાહના પ્રાર઼ભ સાથે જ જોર પકડી રહયો છે.સપ્તાહના મધ્ય ભાગથી તિવ્ર ઠંડીના મોજાનો મુકામ રહયો હતો .તેમાં શહેરમાં ગત બુધવાર અને ગુરૂવાર દરમિયાન સાડા બાર ડિગ્રી આસપાસ લઘુતમ તાપમાન સ્થિર થતા કડકડતી ઠંડીનો અહેસાસ જનજીવને કર્યો હતો. પવન સાથે પારામાં આંશિક વધઘટ વચ્ચે શુક્રવારે રાત્રીનુ તાપમાન અડધો ડિગ્રીથી વધુ ઉંચકાયુ હતુ. જે સાથે મહતમ તાપમાન પણ એક ડિગ્રી ઘટી 30 ડિગ્રી પર સ્થિર થયુ હતુ. જેના કારણે આંશિક વધઘટ વચ્ચે પણ શુક્રવારે ઠંડીનુ મોજુ મહદઅંશે બરકરાર રહયુ હતુ.ખાસ કરી મોડીસાંજથી સવાર સુધી વાતાવરણમાં ટાઢોડાનો અહેસાસ જનજીવને કર્યો હતો. માગસર માસના બીજા પખવાડીયાના પ્રારંભ સાથે જ તિવ્ર ઠંડીના મુકામથી જનજીવન પણ પ્રભાવિત થયુ હતુ. ખાસ કરી રાત્રી દરમિયાન શહેરના સતત ધમધમતા રાજમાર્ગો પર ચહલ પહલ નહીવત જોવા મળે છે.ગ્રામ્ય પંથકમાં પણ ઠંડીનુ જોર વધતા જનજીવન પ્રભાવિત થયુ છે.
ધર્મોત્સવ:જામનગર શહેરમાં તીર્થંકર પાર્શ્વનાથ ભગવાનનો જન્મ-દિક્ષા કલ્યાણકની ઉજવણી આજથી શરૂ
જૈન ધર્મની આચાર મિમાંસા વિશ્વમાં જુદી જ ભાત પાડનારી છે. વર્ષના 360 દિવસમાં આવતાં જૈન ધર્મના તમામ પર્વોમાં વ્રત નિયમ-તપની જ આરાધના થતી હોય છે. 24 તીર્થંકરો ભગવાનના 120 કલ્યાણકો શાશ્વતી ચૈત્ર આસો માસની ઓળી, પયૂર્ષણ પર્વ. જ્ઞાનપાંચમ, મૌન એકાદસી મહિનાની પાંચતિથિ આ બધા દિવસોમાં તપ-જપ-ધ્યાન કર્મની નિર્જરા કરવાની જ વાત છે. માગસર વદ-10, રવિવાર, તા. 14-12-2025પાર્શ્વનાથ ભગવાન જન્મ કલ્યાણક છે. માગસર વદ-12, તા. 15-12-2025 પાર્શ્વનાથ ભગવાન દીક્ષા કલ્યાણક છે. જામનગર શહેરમાં પટેલ કોલોની જૈન સંઘમાં મુળનાયક પાર્શ્વનાથ ભગવાન છે. ત્યાં ઘણાં વર્ષોથી પોષ દશમી તપ કરાવવામાં આવે છે. આ વર્ષે ત્રણ દિવસ અઠ્ઠમ તથા એકાસણાના તપનું આયોજન કરાયું છે. જેના અત્તરવાયણા શુક્રવારે અમૃતવાડીએ કરાવવામાં આવ્યા હતાં. શનિવાર, તા.13-12-2025ના સાકરના પાણી (ઠામ ચૌવીહાર), બીજા દિવસે રવિવાર તા.14-12-2025ના દિને ખીર (ઠામ ચૌવીહાર), ત્રીજા દિવસે સોમવારે, તા.15-12-2025ના દિને ભર્યે ભાણે એકાસણા કરાવાશે. મંગળવાર તા. 16-12-2025ના દિવસે પારણા અમૃતવાડીમાં કરાવવામાં આવશે. આ ઉપરાંત જામનગરના શ્રી વિશા શ્રીમાળી તપગચ્છ જૈન જ્ઞાતિ (શેઠજી દેરાસર) સંઘ દ્વારા પણ પોષ દશમીના અઠ્ઠમ તપની આરાધના કરવવામાં આવશે. જે લોકો તપ કરે તેની આરાધના માટે જ્યોતિ વિનોદ જૈન ઉપાશ્રય પેઢી, ચાંદીબજારમાં કરવાની રહેશે તથા અઠ્ઠમ તપના અતરવાયણા તથા પારણા અમૃત વાડી, તંબોલી માર્કેટની સામે, જામનગરમાં કરાવવામાં આવશે. જામનગરના દેવબાગ સંઘ દ્વારા પણ દિપરત્નસાગરજીની નિશ્રામાં અઠ્ઠમ તપ તથા એકાસણા કરાવવામાં આવશે. આ ઉપરાંત જામનગરના અલગ-અલગ જૈન સંઘોમાં ત્રણ ઉપવાસ (અઠ્ઠમ) તપ આશરે 2000થી પણ વધુ જુદી-જુદી જગ્યાએ થાય છે.
દર્દીઓને હાલાકી:જી.જી.ના ટ્રોમા વોર્ડથી નવી બિલ્ડીંગ સુધી દર્દી સિફ્ટિંગમાં વધતી પરેશાની
જામનગર શહેરની જી.જી. હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાંથી નવી બિલ્ડીંગમાં દર્દીઓને શીફ્ટ કરવામાં આવતા દર્દીઓની અને સાથે રહેલા સગાઓની પરેશાની વધી ગઈ છે. દર્દીઓને સ્ટ્રેચરમાં લઈ જવામાં પરસેવો વળી જાય છે. જી.જી.હોસ્પિટલમાં દૈનિક 3 થી 4 હજાર દર્દીઓની ઓપીડી હોય છે તો ઈમરજન્સી દર્દીઓ પણ મોટી સંખ્યામાં આવતા હોવાથી ટ્રોમા વોર્ડ તેમજ 100 નંબરમાં તાત્કાલિક સારવાર માટે મોકલવામાં આવે છે. જ્યાં દર્દીને ઈમરજન્સી સારવાર અપાયા બાદ નવી બિલ્ડીંગમાં શીફ્ટ કરવામાં આવે છે. અત્યાર સુધી જી.જી.હોસ્પિટલની જુની બિલ્ડીંગમાંથી નવી બિલ્ડીંગમાં લઈ જવામાં આવતા હતાં. પરંતુ હાલ જુની જી.જી.હોસ્પિટલની બિલ્ડીંગની પાડતોડની કામગીરી ચાલી રહી હોવાથી દર્દીઓને બારોબાર થઈને અંદાજે 300 મીટર સુધી સ્ટ્રેચર ચલાવીમાં લઈ જવામાં દર્દીઓ અને સગાઓની હાલત કફોડી બની જાય છે. તો ઓર્થોપેડીક તથા અન્ય ઓપરેશનો પણ જુની બિલ્ડીંગમાં થાય છે. જેથી તે દર્દીઓને પણ સ્ટ્રેચરમાં નવી બિલ્ડીંગમાં લઈ જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જી.જી.હોસ્પિટલ તંત્ર દ્વારા આવા દર્દીઓને નવી બિલ્ડીંગમાં પહોંચાડવા માટેની ખાસ વ્યવસ્થા કરવી જરૂરી છે. તો અગાઉ જ્યારે નવું બિલ્ડીંગ બન્યું હતું. ત્યારે વાહનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરત શહેરની મુલાકાતે આવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાના 350 કરોડના વિકાસ કામો સહિત કૂલ 600 કરોડના પ્રોજેક્ટનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાશે. સુરત એપીએમસીમાં રૂપિયા 200 કરોડના ખર્ચે બનેલી 'એલિવેટેડ માર્કેટ'ને મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લી મૂકાશે. ત્યારબાદ મુખ્યમંત્રી રાંદેરની એક હોટલમાં આયોજીત ઓલ ઈન્ડિયા મેયર કાઉન્સિની બેઠકમાં હાજરી આપશે. બેઠક બાદ વીર નર્મદ યુનિવર્સિટીમાં આયોજીત મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રાજ્યની સૌથી મોટી અને અત્યાધુનિક એલિવેટેડ માર્કેટનું નિર્માણસુરતમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ રાજ્યની સૌથી મોટી અને અત્યાધુનિક 'એલિવેટેડ માર્કેટ' તૈયાર કરીને એક નવો ઈતિહાસ રચ્યો છે. સામાન્ય રીતે શાકભાજી માર્કેટ ગ્રાઉન્ડ ફ્લોર પર જોવા મળતી હોય છે પરંતુ, સુરતમાં જમીનની અછત અને આધુનિકીકરણના ભાગરૂપે પહેલા માળે શાકમાર્કેટ તૈયાર કરવામાં આવી છે.આ માર્કેટની સૌથી મોટી વિશેષતા તેની ડિઝાઈન છે. અહીં એરપોર્ટની જેમ ખાસ રેમ્પ તૈયાર કરવામાં આવ્યા છે. પરંપરાગત માર્કેટમાં માલસામાન ઉતારવા અને ચડાવવામાં ખૂબ સમય બગડતો હતો અને ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી પરંતુ, આ નવી એલિવેટેડ માર્કેટમાં 100 ફૂટનો પહોળો રેમ્પ બનાવવામાં આવ્યો છે. જેના કારણે ટ્રક અને ટેમ્પો જેવા હેવી વ્હીકલ્સ સીધા પહેલા માળે દુકાનની સામે જ જઈ શકે છે. આ સુવિધાને કારણે ખેડૂતો અને વેપારીઓ પોતાનો માલસામાન દુકાનની બરાબર સામે જ ઉતારી શકે છે, જેનાથી શ્રમ અને સમય બંનેની બચત થાય છે. આ પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ભારતના કૃષિ માર્કેટ સેક્ટરમાં એક નવો ચીલો ચાતરશે. 108 હાઈટેક દુકાનો અને બિઝનેસ ફ્રેન્ડલી સુવિધાઓઆ એલિવેટેડ માર્કેટમાં કુલ 108 જેટલી મોટી દુકાનો બનાવવામાં આવી છે. વેપારીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને દરેક દુકાનમાં એક મોટું ગોડાઉન અને બે ઓફિસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં, દુકાનની બહાર પણ માલસામાન મૂકવા માટે પૂરતી મોકળાશવાળી જગ્યા રાખવામાં આવી છે, જેથી હરાજી અને વેચાણ પ્રક્રિયામાં કોઈ અડચણ ન આવે. શ્રમિકો અને ખેડૂતોને મફત સારવારની સુવિધા અપાશેમાત્ર વેપાર જ નહીં પરંતુ, સુરત APMCએ માનવતાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. માર્કેટમાં કામ કરતા હજારો શ્રમિકો અને માલ લઈને આવતા ખેડૂતોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અહીં મેડિકલની સુવિધા ઉભી કરવામાં આવી છે. અહીં કામદારો માટે સંપૂર્ણપણે મફત સારવારની વ્યવસ્થા છે, જેથી ગરીબ શ્રમિકોને નાની-મોટી બીમારીમાં આર્થિક બોજ ન સહન કરવો પડે. 15 રાજ્યો સાથે વ્યાપારિક જોડાણ અને 3700 કરોડનું ટર્નઓવરસુરત APMC માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી રહ્યું. અહીં દેશના 15 જેટલા વિવિધ રાજ્યોમાંથી લોકો પોતાના શાકભાજી અને ફળો વેચવા માટે આવે છે. આ આંતરરાજ્ય વ્યાપારને કારણે સુરત એક મોટું ટ્રેડિંગ હબ બન્યું છે. રોજિંદા અંદાજે 15,000 જેટલા ખેડૂતો, ફેરિયાઓ અને વેપારીઓ અહીં મુલાકાત લે છે. આવકની દ્રષ્ટિએ વાત કરીએ તો, સુરત APMC સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવે છે. વાર્ષિક 3700 કરોડ રૂપિયાના તોતિંગ ટર્નઓવર સાથે આ માર્કેટ રાજ્યના અર્થતંત્રમાં મોટો ફાળો આપી રહી છે. બગડી ગયેલા શાકભાજી અને કચરામાંથી CNG ગેસ બનાવે છેપર્યાવરણ જાળવણીમાં પણ આ માર્કેટ પાછળ નથી. શાકભાજી માર્કેટમાં પુષ્કળ પ્રમાણમાં કચરો નીકળવો સ્વાભાવિક છે પરંતુ, અહીં વેસ્ટેજ શાકભાજીનો નિકાલ કરવા માટે બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. બગડી ગયેલા શાકભાજી અને કચરાને આ પ્લાન્ટમાં નાખીને તેમાંથી CNG ગેસ બનાવવામાં આવે છે, જે ગ્રીન એનર્જી તરફનું એક મજબૂત પગલું છે. એલિવેટેડ માર્કેટ દેશભરમાં એક મોડલ સમાન બની રહીસુરત APMCના ચેરમેન અને ધારાસભ્ય સંદીપ દેસાઈએ આ પ્રોજેક્ટ વિશે ગર્વ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સુરત APMC માર્કેટ ગુજરાતમાં સૌથી વધારે ટર્નઓવર ધરાવતી માર્કેટ છે. હવે આ રાજ્યની એવી પ્રથમ માર્કેટ બની છે જે એલિવેટેડ છે. પહેલા માળે APMC માર્કેટ કાર્યરત થવાથી અને 100 ફૂટના રેમ્પ જેવી સુવિધાઓ મળવાથી વેપાર સરળ બનશે. અમે ખેડૂતો અને શ્રમિકો માટે મેડિકલ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. દેશના 15 રાજ્યોમાંથી લોકો અહીં વેપાર અર્થે આવે છે તે સુરત માટે ગૌરવની વાત છે. આમ, આધુનિક સુવિધાઓ, જંગી ટર્નઓવર અને પર્યાવરણલક્ષી અભિગમ સાથે સુરતની આ એલિવેટેડ માર્કેટ દેશભરમાં એક મોડલ સમાન બની રહી છે.
હાલમાં ચાલી રહેલી SIRની કામગીરી દરમિયાન ઘણા BLO અનેક ફરિયાદો કરી રહ્યાં છે. કેટલાક કિસ્સાઓ એવા પણ સામે આવ્યા છે જેમાં કામના ભારણના કારણે શિક્ષકોએ આપઘાત કર્યા હોય. આ તમામ વિવાદો વચ્ચે સુરતના BLO મકરંદ રાજેશભાઈ જોશી વિશેષ કામગીરી કરી રહ્યાં છે. આ શિક્ષકને ફાળવેલા વિસ્તારોમાં માઇક અને લાઉડ સ્પીકર સાથે સોસાયટી-સોસાયટીમાં જઈ SIRના ફોર્મ ભરવા લોકોને એનાઉન્સ કરી કરીને જાગૃત કરી રહ્યા છે. એટલું જ નહીં તેઓ આ કામગીરીને લોકશાહીને મજબૂત કરવાનું ઐતિહાસિક કાર્ય માની રહ્યા છે. એક તરફ મકરંદ જોશીને ગળાની નીચે મણકાની ગાદીમાં સર્વાઇકલ ઇજા થઇ છે અને ડોક્ટરે હાથ-ખભામાં આરામ કરવાનું કહ્યું. આમ છતાં પોતાની સમસ્યાને લઈને કોઈપણ પ્રકારની રજાની માગ કર્યા વગર કામ કરી રહ્યાં છે. તેઓનું કહેવું છે કે, લોકતંત્રને મજબૂત કરવાના કેમ્પેનમાંથી બાકાત રહેવા નથી માંગતો. SIR કામગીરીમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી અને તેની જીવનભર યાદી બની રહે તે રીતે કામગીરી કરી રહ્યા છે. શરૂઆતમાં મકરંદ જોશીને કોઈ તકલીફ નહોંતીસુરતના અડાજણ વિસ્તારમાં રહેતા 37 વર્ષીય મકરંદ રાજેશભાઈ જોશી 2013થી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. બે દીકરીના પિતા એવા મકરંદભાઈ હાલ SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન)ની કામગીરીમાં BLO (બૂથ લેવલ ઓફિસર) તરીકે કામગીરી કરી રહ્યા છે. કામગીરી શરૂ થઈ ત્યારે તેઓ એકદમ સ્વસ્થ હતાં. જોકે થોડા દિવસોમાં તેમની મણકાની ગાદી ખસી જવાના કારણે તકલીફ શરૂ થઈ હતી. જોકે, લોકશાહીને મજબૂત કરવાની આ કામગીરીમાં પોતાનુ યોગદાન આપી રહ્યા છે. ગરદનમાં દુખાવો થતાં મેં ડોક્ટર પાસે ચેક કરાવડાવ્યુંઃ મકરંદ જોશીમકરંદ રાજેન્દ્રભાઈ જોશીએ જણાવ્યું હતું કે, અત્યારે SIRમાં બીએલઓ તરીકે હું સુરતમાં 138 ભાગમાં કામ કરી રહ્યો છું. જ્યારે આ કામગીરી શરૂ થઈ એની વચ્ચે જ મને ગરદનમાં દુખાવો ચાલુ થયો, એટલે મેં ડોક્ટર પાસે ચેક કરાવડાવ્યું તો ડોક્ટરે કહ્યું કે, તમારા મણકાની ગાદી ખસી ગઈ છે. એટલે એનો ઇલાજ પણ સાથે-સાથે ચાલુ છે અને કામગીરી પણ સાથે સાથે ચાલુ છે. ‘ઈલાજની સાથે મેં SIRનું કામ પણ કરવાનુ નક્કી કર્યું’શરૂઆતમાં તો હું થોડો ગભરાઈ ગયો. મને થયું આની માટે ઇલાજ પર આપણે વધુ ધ્યાન આપવું જોઈએ. પણ સાથે-સાથે મને એ પણ ધ્યાનમાં આવ્યું કે, લોકતંત્રને ખૂબ મજબૂત કરવાની આ SIRની પ્રક્રિયા છે. ક્યાંકને ક્યાંક આપણે એનો ભાગ છીએ. આ કામગીરી એટલી ક્લિષ્ટ અને કોમ્પ્લેક્સ છે કે કદાચ મને આમાંથી મુક્ત પણ કરે અને કોઈ નવો વ્યક્તિ પણ આવે તો તેને પણ સમજવામાં-કરવામાં ખૂબ તનાવ થશે. એટલે મને થયું કે, આપણે આ સાથે બંને કામો સાથે જ કરીએ. ‘કામ અને તબિયત બેલેન્સ કરીને બધુ કરૂ છું’તબિયતનું ધ્યાન રાખવાની સાથે-સાથે કામ કરૂ છું. કામ અને તબિયતને લઈ એ રીતનો પ્રયાસ રહે છે કે, બહું શારીરિક રીતે પણ શ્રમ ન પડે અને શારીરિક અંગોનું પણ હલનચલન થાય. સાથે-સાથે જે આપણા કામો છે, જેમ કે, ફોર્મ્સ લેવાના હોય કે શિફ્ટેડના ફોર્મ હોય, ઓનલાઇન ચઢાવવાના એ બધું કરીએ છીએ. ‘ઘણી વખત ફ્રસ્ટ્રેશનની સ્થિતિ થાય, ધીરજ રાખવી પડે’જ્યારે અમે ઘરે-ઘરે જઈએ તો ઘણા લોકો આ કામગીરીને બહુ ગંભીરતાથી લેતા નથી. ફોર્મ સમય પર આપતા નથી, જેથી એમના ઘરે જવું પડે, બેસીને ફોર્મ ભરવું પડે અને ખૂબ ધીરજ રાખવી પડે. ફ્રસ્ટ્રેશનની સ્થિતિ થાય કારણ કે, લોકોના એવા રિસ્પોન્સ હોય કે આ આપણું કામ છે, લોકો સુધી જવું જરૂરી છે. એટલે માનસિક રીતે ધીરજ રાખીને પેશન્સ રાખીને કામ કરવું પડે. ‘એક વાતાવરણ ઊભું કર્યા બાદ ફોર્મ મળવા લાગ્યા’મને જ્યારે ધ્યાનમાં આવ્યું કે, ફોર્મ ભરીને આપવાનું જે કામ છે તેને લઈને લોકોમાં ગંભીરતા નથી. તેમને ખ્યાલ નથી કે એમનું નામ મતદાર યાદીમાંથી નીકળી શકે છે. એટલે વ્યક્તિગત ઘરે જઈને પણ જ્યારે રિસ્પોન્સ ન મળ્યો, ત્યારે મને થયું કે આનું એક વાતાવરણ ઊભું કરવું પડશે. સોસાયટીમાં માઈક સ્પીકર લઈને જવું પડશે તો વાતાવરણ બને અને પછી લોકો એકબીજા સાથે વાતો કરીને આના વિશે ચર્ચા કરે તો ફોર્મ મળવા લાગ્યા. જે બાદ સારૂ પરિણામ મળ્યું. ‘મેં કામખથી મુક્ત થવા અધિકારીને ના પાડી’અમારા અધિકારીને પણ જાણ કરી અને એમનો પણ ખૂબ સારો પ્રતિભાવ હતો. તેઓ પણ મને આ કામગીરીમાંથી જો મુક્ત થવું હોય એ વિષય પણ વિચારતા હતાં. પણ મેં એમને સામેથી જ ના પાડી. કારણ કે, મેં રાત્રે વિચાર કર્યો કે આ એટલી કોમ્પ્લેક્સ કામગીરી છે, તો નવો વ્યક્તિ કઈ રીતે કરશે? અને ક્યાંકને ક્યાંક લોકતંત્રને મજબૂત કરવાનું આ આખું કેમ્પેન છે અને એમાંથી હું બાકાત રહેવા નથી માંગતો.
કોમનવેલ્થ ગેમ્સ અને ઓલમ્પિક્સને લઈને અમદાવાદમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આઇકોનિક રોડ બનાવવામાં આવ્યા છે. વૈષ્ણોદેવી સર્કલથી સરખેજ ઉજાલા સુધી આઇકોનિક ડસ્ટ ફ્રી રોડ બનાવવામાં આવશે, જેનો પહેલો ફેઝ પકવાન સર્કલથી શરૂ કરી ઇસ્કોન બ્રિજના છેડા સુધીનો રોડ હાલ પૂર્ણ થવા આવ્યો છે. એસજી હાઇવે અને સર્વિસ રોડની વચ્ચેના ભાગે આઇકોનિક પ્લેસ મેકિંગ કરવામાં આવ્યું છે. લેન્ડસ્કેપિંગ, બેસવાની વ્યવસ્થા તેમજ જીમ અને ફાઉન્ટેનની આધુનિક કક્ષાની સુવિધાઓ વિકસાવવામાં આવી છે. ડિસેમ્બર મહિનાના અંતમાં આઇકોનિક અને ડસ્ટ ફ્રી રોડ બનીને તૈયાર થઈ જશે અને લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. તો ચાલો અમદાવાદીઓ તૈયાર થઈ જાવ વિદેશને પણ ઝાંખા પાડે તેવા હાઇવેને ફીલ કરવા. હાલ તો પકવાન સર્કલથી ઈસ્કોન બ્રિજ જશો તો લેન્ડસ્કેપિંગ, ગજેબો, જીમ ને ફાઉન્ટેન જોઈ તમારી સ્પીડ આપોઆપ ઓછી થઈ જશે. વૈષ્ણોદેવી સર્કલથી સરખેજ ઉજાલા સર્કલ સુધી રોડ ડેવલોપમેન્ટસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આઇકોનિક રોડ બનાવવામાં આવી રહ્યા છે. એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધી આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો છે. જે બાદ શહેરના એસજી હાઇવે ગણાતા વૈષ્ણોદેવી સર્કલથી લઈને સરખેજ ઉજાલા સર્કલ સુધીના રોડને ડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યો છે. ડસ્ટ ફ્રી રોડ પર વૃક્ષ અને તેની માહિતી આપતું બોર્ડઆઇકોનિક અને ડસ્ટ ફ્રી રોડને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરેક ભાગમાં પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. જે પણ વૃક્ષ અથવા પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે તેની માહિતી આપતું બોર્ડ પણ લગાવાયું છે. હયાત રોડની પહોળાઈને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત આવતાં સર્વિસ રોડનું અંદાજીત 8 મીટર પહોળાઈમાં 750 મીટર સુધી ડેવલપમેન્ટ કરાયું છે. નેશનલ હાઇવેના બફરઝોનમાં શહેરી વનીકરણ કરી લેન્ડસ્કેપીંગમાં વધારોપકવાન જંકશન પાસે જજીસ બંગ્લોઝ પાસેથી આવતા ટ્રાફિકને એસ.જી હાઇવે ઉપર સીગ્નલ મુક્ત ફ્રી લેફટ ટર્ન પણ મળશે. નેશનલ હાઇવેનાં બફરઝોનમાં શહેરી વનીકરણ કરી લેન્ડસ્કેપીંગમાં વધારો કરી પર્યાવરણ સંતુલન પર ભાર તેમજ અન્ય જરૂરીયાત મુજબની સ્થળ પરિસ્થિતિ મુજબની કામગીરી કરવામાં આવી છે. અનિયમિત કાચા ભાગમાં આવેલા હયાત મોટા વૃક્ષોની પણ જાળવણી કરવામાં આવી છે. ટોરેન્ટ હાઈટેનશન લાઈનનાં ટાવરને સિમેન્ટ જાળી લગાવી કવર કરાયા છે. એસજી હાઇવે પર ચાલવાનો સરસ રોડ બનાવ્યો એટલે અકસ્માત થશે નહી: સ્થાનિકશહેરના બોડકદેવ વિસ્તારમાં રહેતા સ્થાનિક ગોવિંદભાઈ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દરરોજ તેઓ અહીંયા ચાલવા માટે આવે છે. પહેલા ચાલવા માટે આવતા હતા તો અકસ્માત થતા હતા પોતે પણ અકસ્માતનો ભોગ બન્યા છે, પરંતુ ચાલવા અને બેસવા માટે આ અલગથી સરસ જગ્યાને ડેવલપમેન્ટ કરવામાં આવી છે તેનાથી લોકોને ખૂબ જ લાભ થશે. અત્યાધુનિક સુવિધાની સાથે હરવા-ફરવાની જગ્યા મળશેવૈષ્ણોદેવી સર્કલથી સરખેજના ઉજાલા સર્કલ સુધી આખા એસજી હાઇવે પર આ મુજબ આઇકોનિક અને ડસ્ટ ફ્રી રોડ બનશે. જેના માટે પ્રથમ ફેઝમાં પકવાન સર્કલથી ઇસ્કોન સુધી ડેવલોપમેન્ટ કરવામાં આવ્યું છે હવે બાકીના ભાગોમાં તબક્કાવાર રીતે ડેવલપમેન્ટ કરાશે, જેથી લોકોને અત્યાધુનિક સુવિધાની સાથે હરવા-ફરવાની જગ્યા મળી રહેશે. આ પણ વાંચો: પગ મૂકતાં જ અમદાવાદ સ્વર્ગ લાગશે, લંડન-પેરિસ ઝાંખાં પડશે આ પણ વાંચો: અમદાવાદ આસપાસના 77 કિમી વિસ્તારમાં જમીન-મકાનના ભાવ આસમાને આંબશે
જામતારા....છત્તીસગઢનું આ ગામ એટલું બદનામ છે કે દેશમાં જ્યારે પણ કોઇ સાયબર ગઠિયાની વાત આવે ત્યારે તેનું કનેક્શન તેની સાથે નીકળે પણ ગુજરાતનું એક એવું ગામ છે જે જામતારા કરતાં સાવ ઊંધી દિશામાં જ આગળ વધ્યું છે અને ભલભલા ગઠિયાઓને ધૂળ ચાટતા કરી દીધા છે. 'અમે તો હજુય નથી છેતરાતા અને બીજાને પણ નહીં છેતરાવા દઇએ....'આ શબ્દો એ ગામની મહિલાના છે જે ગામના અડધા લોકો તો ભણેલા જ નથી. ગામનું નામ રાજપર. સુરેન્દ્રનગરના વઢવાણથી અંદાજે 6થી 7 કિલોમીટર દૂર થાય. ગામમાં 800 મકાનો હશે, પાંચેક હજાર લોકોની વસતિ છે. એવું તો શું થયું કે આ ગામના લોકોએ કમાલ કરી દીધો એ જાણવા માટે દિવ્ય ભાસ્કરની ટીમે ગામની મુલાકાત લીધી હતી. અહીં અમે વિદ્યાર્થીઓ, શિક્ષિકા, પશુપાલક, આંગણવાડી કાર્યકરો, દુકાનદાર, સરપંચ સહિતના લોકોને મળ્યાં હતા. અહીં બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના લોકોમાં એટલી સમજ છે કે કોઇ વસ્તુ ખરીદે ત્યારે બિલ માગે, કોઇ સાયબર ગઠિયાઓનો ફોન આવે તો તેના પર ધ્યાન જ ન આપે. ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર (CERC) તેમજ મેત્રી (મોટિવેશન ફોર એજ્યુકેશન ટ્રેનિગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) એજ્યુકેશન ટ્રસ્ટે સાથે મળીને ઓગસ્ટ-2024માં અહીં જાગૃત ગ્રાહક ગામ નામથી એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેમાં ગામના લોકોને કોઇપણ રીતના ફ્રોડથી બચવા માટેની માહિતી અપાય છે. જ્યારે દિવ્ય ભાસ્કરની ટીમ ગામમાં પહોંચી તો મુખ્ય દરવાજા, શેરીઓની દીવાલો, રિક્ષાઓ પર પોસ્ટર્સ લગાવેલા દેખાયા. જેમાં કોઇ વસ્તુ ખરીદ્યા પછી કેવું ધ્યાન રાખવું તેની માહિતી હતી. ટૂંકમાં કહીએ તો લોકોમાં જાગૃતિ લાવવા માટેના પ્રયાસો હતા. ગામના દરવાજા પાસે આવેલા એક મકાનમાં કેટલાક કાર્યકરો શિબિર યોજીને ગ્રામજનોને ગ્રાહક અધિકાર અંગે માહિતી આપતા જોવા મળ્યાં હતા. શિબિરથી આગળ વધીને અમે ગામની કન્યા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. અહીં ધો. 6થી 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ પણ ગ્રાહકોના અધિકાર અંગે જાગૃત હતી. વિદ્યાર્થિનીઓ પાસે જુદા જુદા સૂત્રો લખેલા બેનર્સ હતા. જેમાં લખ્યું હતું કે ભ્રામક યોજનામાં ભરમાતા નહીં, MRP કરતાં વધુ રૂપિયા ન આપો, વેપારી પાસે બીલ માંગો, ગુણવત્તાના પ્રતિક ચિહ્નો જોઇને ખરીદી કરો, અસંતોષકારક માલની ફરિયાદ નોંધાવો, ઓનલાઇન છેતરપિંડીથી સાવધાન રહો. શાળાની મુલાકાત દરમિયાન વિદ્યાર્થિનીઓએ અમને કેટલાક કિસ્સાંઓ કહ્યાં. કિસ્સો 1એક વિદ્યાર્થિનીએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, મારા પપ્પાના ફોન પર ફ્રોડ કોલ આવ્યો હતો. 10 ફોન કર્યા હતા અને દરેક વખતે અલગ અલગ રાજ્યમાંથી બોલતાં હોવાનું કહેતા હતા. તમે અમારી એપમાંથી વસ્તુ લીધી છે અને પૈસા નથી આપ્યાં તેવું પણ કહેતા હતા. હકીકતમાં મારા પપ્પાએ કંઇ લીધું નહોતું એટલે અમારું બેંક એકાઉન્ટ બંધ કરી દીધું અને ફ્રોડ કોલ કરનારાએ કહ્યું છતાં ઓટીપી ન આપ્યો. ફ્રોડ કરનારા એવું કહેતા કે હું તમારા પર કેસ કરીશ, મારા પપ્પાએ કહ્યું કે તમે કેસ કરજો, તમે જ્યાં કહેશો ત્યાં હું આવીશ એટલે તેમણે ફોન કાપી નાખ્યો હતો. કિસ્સો 2આવી જ એક બીજી વિદ્યાર્થિનીએ પોતાના પિતાનો કિસ્સો વર્ણવતાં કહ્યું કે, મારા પપ્પાના મોબાઇલ પર એક ફોન આવ્યો હતો. એ લોકો કહેતાં હતા કે મેં તમારા ખાતામાં 12 હજાર રૂપિયા નાંખ્યા છે તો તમે જોઇ જુઓ. મારા પપ્પાએ કહ્યું કે, ના, મેં કોઇને પૈસા નાંખવાનું કહ્યું નથી. આના પછી બીજીવાર ફોન આવ્યો તો અમે ઉપાડ્યો જ નહીં. કિસ્સો 3ત્રીજી વિદ્યાર્થિનીએ ગ્રાહકોની આંખ ઉઘાડતી વાત કરી. તેણે કહ્યું, હું જ્યારે વસ્તુ લેવા જઉં ત્યારે એક્સ્પાયરી ડેટ, હોલમાર્ક જોઉં છું. લાલ ટપકું (નોનવેજ) છે કે લીલું (વેજ), પેકેટ તૂટેલું છે કે નહીં તે જોઉં છું અને કિંમત જોઉં છું. તેમાં લખ્યાં હોય તેટલાં પૈસા આપું છું. જો દુકાનદાર વધુ પૈસા માંગે તો હું તેમને કહું છું કે પેકેટ પાછળ તો આટલાં જ પૈસા લખ્યાં છે તમે વધારે કેમ પૈસા માંગો છો. વિદ્યાર્થિનીઓમાં આવેલી જાગૃતિ પાછળનું એક કારણ શિક્ષણ છે અને બીજું કારણ CERC તેમજ મેત્રી એજ્યુકેશન ટ્રસ્ટનો પ્રયાસ છે. રશ્મિબેન દાંતણીયા આ જ શાળામાં 9 વર્ષથી શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે અને ધો. 6થી 8ની વિદ્યાર્થિનીઓને સામાજિક વિજ્ઞાન અને હિન્દી ભણાવે છે. તેમણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, ગ્રાહક અધિકાર અંગે ધો. 8માં સામાજિક વિજ્ઞાનમાં એક ચેપ્ટર આવે છે અને મેત્રી એજ્યુકેશન ટ્રસ્ટના દીપાલીબેન અવારનવાર અહીંયા ગ્રાહક અધિકાર અંગે જાગૃતિ ફેલાવવાના કાર્યક્રમો કરવા આવતાં હોવાથી બાળકોમાં તે અંગે ઘણી જાગૃતિ આવી છે. મેત્રી એજ્યુકેશન ટ્રસ્ટે રાજપર ગામના 800 લોકો પર બેઝલાઇન સર્વે કર્યો હતો. જેમાં જાણવા મળ્યું કે 50% લોકોએ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું છે. 23% લોકોએ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું છે. 13% લોકો પાસે સ્નાતક કક્ષા અને 1.38% લોકો પાસે અનુસ્નાતક કક્ષાની ડિગ્રી હતી. 12.5% લોકોએ કોઇ ઔપચારિક શિક્ષણ લીધું ન હોવાનું જણાવ્યું હતું. શાળાથી આગળ વધીને અમે ગામના દરવાજા પાસે પહોંચ્યાં. જ્યાં રહેતા સોનલબેન રબારી અમને મળ્યાં. સોનલબેન ખેતી તેમજ પશુપાલન સાથે સંકળાયેલા છે. તેમણે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, અમે જ્યારે સોનુ-ચાંદી કે કપડાં ખરીદવા જઇએ છીએ ત્યારે બિલ લઇએ છીએ. જો કોઇ વસ્તુ ખરીદ્યા બાદ તેને બદલાવવાની જરૂર પડે ત્યારે બિલ હોય તો કામ લાગે. જો વેપારી વસ્તુ ના બદલી દે અને આપણી પાસે બિલ હોય તો આપણે તે વેપારી વિરૂદ્ધ કાર્યવાહી કરી શકીએ, હેલ્પલાઇન પર ફરિયાદ કરી શકીએ. સંસ્થાએ ગામમાં બોર્ડ મારેલા છે તે જોઇએ છીએ અને તેમાંથી શીખીએ છીએ. ગામમાં જ એક આરોગ્ય કેન્દ્ર આવેલું છે. જેમાં રીટાબેન ખેર કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે છેલ્લા 4 વર્ષથી ફરજ બજાવે છે. તેમણે જણાવ્યું કે, બધા ગ્રામજનો ગ્રાહક અધિકાર અંગે જાણે છે પરંતુ ઓનલાઇન ખરીદીમાં ક્યારેક ભૂલ કરી બેસે છે. સંસ્થાના દીપાલીબેન અહીં આવીને વારંવાર કાર્યક્રમો કરે છે જેથી લોકોમાં જાગૃતિ આવી છે. તેમણે કહ્યું કે, લેડીઝ તરીકે તો અમને વસ્તુ જોઇને વધારે ખબર પડે કે ફૂગ લાગેલી છે કે કલર ચેન્જ છે. અમે તે જોઇને ઓળખી જઇએ છીએ કે વસ્તુ જૂની છે અને સ્ટીકર નવું લગાવેલું છે. ગ્રામજનોને પણ બધી ખબર પડે જ છે. ગામની આંગણવાડીમાં કામ કરતી મહિલાઓ પણ ગ્રાહક તરીકેના અધિકારથી સારી રીતે વાકેફ છે. છાયાબેન ચૌહાણ ગામની આંગણવાડીમાં તેડાગર તરીકે નોકરી કરે છે. તેમણે કહ્યું કે, અમે ગ્રામજનોને મળીએ ત્યારે થોડું સમજાવીએ છીએ. ગ્રાહક સુરક્ષાવાળા બેન આવીને સમજાવે છે કે ગમે તે વસ્તુ ખરીદો ત્યારે તારીખ જોવી, અનાજ સારું છે કે નહીં તે જોવું, પેકિંગ બરાબર છે કે નહીં તે જોવું. અમે બાળકોને લેવા તેના ઘરે જઇએ ત્યારે તેમના ઘરે પણ આ બધું કહીએ છીએ. આરતીબેન પંચાળા આંગણવાડી વર્કર છે. તેમણે ઓનલાઇન ઓર્ડર આપીને મગાવેલા ટી-શર્ટનો કિસ્સો કહ્યો. 'મેં ઓનલાઇન એક ટી-શર્ટ મંગાવ્યું હતું. જેમાં XLના બદલે XXLની સાઇઝ આવી ગઇ હતી. જેથી તે બિનઉપયોગી બની ગયું હતું. આ અંગે અમે જ્યારે દીપાલીબેનને કહ્યું ત્યારે તેમણે ટી-શર્ટ પાછું આપવાની રીત કહી. જે પ્રમાણે અમે રિટર્ન કર્યું એટલે પૈસા પાછા મળી ગયા.' આંગણવાડી કાર્યકરોને મળ્યાં બાદ અમે હંસાબેન નામના એક ગૃહિણીને મળ્યાં. તેમણે પોતાના પડોશી કેવી રીતે ઠગાઇનો શિકાર બન્યાં તેની વાત કહી. હંસાબેને કહ્યું, અમે ગ્રાહક અધિકાર અંગે જાણીએ છીએ. દુકાને વસ્તુ લેવા જઇએ ત્યારે ધ્યાન રાખીએ છીએ. આંગણવાડીમાં જતાં ઘણાં બહેનોને ફ્રોડ કોલ આવેલાં કે તમે ઓટીપી આપો. ઠગે અમારી બાજુવાળા એક બહેનના ખાતામાં પહેલાં 3 હજાર રૂપિયા નાખ્યા હતા પછી ઓટીપી માંગ્યો હતો. ઓટીપી આપ્યો એટલે તરત જ તેમના ખાતામાંથી 14 હજાર રૂપિયા ઉપડી ગયા હતા. હવે અમે ધ્યાન રાખીએ છીએ કે કોઇને ઓટીપી આપવો નહીં. ગામમાં જ રહેતા અને નોકરી કરતા ગીતાબેન મીઠાપરાના પુત્રવધુને ફ્રોડ કોલ આવ્યો હતો. આ કિસ્સાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, અમારા વહુને ફ્રોડ કોલ આવ્યો હતો અને ઓટીપી માંગ્યો હતો પણ અમે આપ્યો નહોતો એટલે છેતરાયાં નથી. ગ્રાહક સુરક્ષાવાળા બહેને અમને કહ્યું હતું કે કોઇને ઓટીપી આપવાનો નહીં, નહીંતર તમારું બેલેન્સ ખાલી થઇ જશે એટલે અમે ઓટીપી આપ્યો ન હતો. ફક્ત લોકો જ નહીં પરંતુ દુકાનદારોમાં પણ કેવી જાગૃતિ છે તે જાણવા માટે અમે અહીં આવેલા એક પ્રોવિઝન સ્ટોરની મુલાકાત લીધી હતી. વિશાલ સતાણા પ્રોવિઝન સ્ટોર ચલાવે છે. તેઓ ગ્રાહકોની જાગૃતિ અંગે કહે છે કે, ગ્રામજનોમાં ગ્રાહક અધિકારો અંગે પૂરી જાગૃતિ છે. ગ્રાહકો જ્યારે વસ્તુ લેવા આવે ત્યારે તારીખ, વજન વગેરે બધું જ જુએ છે. છેલ્લા દોઢેક વર્ષથી ગ્રામજનોમાં વધુ જાગૃતિ આવી છે. હું તો નિયમોનુસાર માલ વેચું છું, મને શેનું ટેન્શન હોય? હું પણ માલ ખરીદું ત્યારે બિલ લઉં છું અને તે જ રીતે અહીંયા ગ્રાહકને માલ વેચું છું. દોઢ-બે વર્ષથી ગ્રાહક સંસ્થાવાળા આવે છે. મારી દુકાનની સામેના ઘરમાં જ મિટિંગનું આયોજન કરાવી આપ્યું હતું. અમે પોસ્ટર્સ પણ લગાવ્યા હતા. લોકો સાથેની મુલાકાત બાદ હવે અમારે ગામના સરપંચ અને ઉપ સરપંચને મળવાનું હતું. સંગીતાબેન વાઘેલા ગામના સરપંચ છે. તેઓ ગ્રાહક જાગૃતિ માટેના કાર્યક્રમની પ્રશંસા કરે છે. તેમણે કહ્યું કે, આવા કાર્યક્રમો કરવા માટે સંસ્થાએ અમારી મંજૂરી લીધી હતી. તે ગ્રાહકલક્ષી કાર્યક્રમો કરે છે, જાહેરાત કરે છે અને દરેકને સમજાવે છે. વિનોદ બારૈયા ગામના ઉપસરપંચ છે. તેઓ કહે છે કે, અમારા ગામમાં CERC જુદી-જુદી જગ્યાએ કાર્યક્રમ કરે છે. કાર્યક્રમમાં એવું સમજાવાય છે કે વસ્તુની ખરીદી કરતી વખતે પાકું બિલ લેવાનું. આપણે બિલ માંગીએ એટલે સામેવાળા સમજી જાય કે આ લોકો જાણકાર લાગે છે. કાર્યક્રમો થવાના લીધે લોકોમાં જાગૃતિ ફેલાઇ છે. ગામમાં આવેલી આ જાગૃતિ માટેનો શ્રેય મેત્રી એજ્યુકેશન ટ્રસ્ટ અને CERCને જાય છે એટલે અમે આ બન્ને સંસ્થાની કામગીરી જાણવાનો પણ પ્રયત્ન કર્યો હતો. દીપાલી દવે મેત્રી એજ્યુકેશન ટ્રસ્ટના સંચાલક છે. તેમણે સંસ્થાની પ્રવૃત્તિઓ અંગે માહિતી આપતા કહ્યું કે, અમારી સંસ્થા ઊર્જા બચાવવાની, ગ્રાહક સુરક્ષા અંગેની એમ જુદી-જુદી પ્રવૃત્તિઓ કરે છે. અમે CERC સાથે કામ કરીએ છીએ. રાજપર ગામની પસંદગી શા માટે કરાઇ તે અંગે તેમણે કહ્યું કે, આ ગામમાં વસ્તી વધુ છે અને રસ વધારે લે છે. જેથી વધુ જાગૃતિ આવી શકે તેમ છે. ગામની 5થી 6 હજારની વસતિમાંથી 50% લોકો અક્ષરજ્ઞાન ધરાવે છે. લોકો જાગૃત થાય તે માટે અમે અલગ અલગ જગ્યાએ અવેરનેસ પ્રોગ્રામ કરીએ છીએ. કિશોરીઓ સાથે, આંગણવાડી વર્કર, હેલ્પર સાથે રહીને કાર્યક્રમ યોજીએ છીએ. 'બાળકો પાસે ડ્રોઇંગ, સ્લોગન વગેરે જેવી જુદી-જુદી એક્ટિવિટી કરાવીએ છીએ. મેળો હોય, મંદિરનો પાટોત્સવ હોય, માતાજીનો માંડવો હોય ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થતા હોય છે એટલે ત્યારે પણ કાર્યક્રમો કરીએ છીએ. જે લોકો અશિક્ષિત હોય તેને સમજાવીએ છીએ કે તમારે વસ્તુના વજન અંગે પૂછવું, ભાવ પૂછવો, MRP કરતાં વધારે પૈસા નથી લેતાને તે અંગે દુકાનદાર સાથે સ્પષ્ટ રીતે વાતચીત કરીને ખરીદી કરવી.' 'શરૂઆતમાં લાગતું હતું કે ગ્રામજનો જાગૃત નથી. તેમને ગ્રાહક અધિકારોની જાણકારી નથી.કોઇને ખ્યાલ નહોતો કે તેમની સાથે છેતરપિંડી થાય તો શું કરવું? ક્યાં જવું? પણ જાગૃતિ કાર્યક્રમો યોજ્યા બાદ હવે લોકો જાગૃત થઇ ગયા છે. ' તેમણે કહ્યું, હવે તો લોકો ફરિયાદ પણ કરે છે અને પૂછે પણ છે કે ઓનલાઇન વસ્તુ મંગાવીએ અને ખરાબ આવે તો અમારે શું કરવું? આમ જોવા જઇએ તો અત્યારે 75% લોકો તો અવેર થઇ જ ગયા છે. વધુ ગ્રામજનો જાગૃત થાય તે માટે અમે ગામમાં ઠેર ઠેર બેનરો લગાવ્યાં છે, ભીંત પર લખાણ લખાવ્યું છે, ડ્રોઇંગ કરાવ્યાં છે. કાર્યક્રમોમાં પેમ્ફ્લેટ આપીએ છીએ.ટોલ ફ્રી નંબર્સ આપેલાં છે. ગામમાં ઘણા બધાને ફ્રોડ કોલ આવેલા પણ જાગૃતિના કાર્યક્રમો કરેલા હોવાથી ફક્ત 3 કે 4 લોકોના જ પૈસા ગયા છે બાકી કોઇના પૈસા નથી ગયા. મેઘાવી જોશી CERCના કમ્પ્લેઇન વિભાગના મેનેજર છે. તેમણે કહ્યું કે, અમે મેત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સાથે મળીને 2 વર્ષથી આ પ્રોજેક્ટ પર કામ કરતા હતા. 'અમે જોયું કે મેત્રી ટ્રસ્ટ વઢવાણ તથા તેની આસપાસના ગામડાંઓમાં સારા કામ કરે છે. જેથી અમે સૌ પહેલાં રાજપર ગામમાં ગ્રાહક જાગૃતિ માટે કામ કરવું હોય તો ક્યાં કરી શકીએ તે અંગે ટ્રસ્ટ સાથે વાતચીત કરી હતી. બાકી બધી અમારી જરૂરિયાત પ્રમાણેની ગામની વિગતો તપાસી તો અમને લાગ્યું કે અમે આ ગામમાં કામ કરી શકીએ તેમ છીએ.' તેમણે સંસ્થાની જરૂરિયાત અંગે જણાવ્યું કે, ગામમાં કેટલી વસતિ છે, કેટલા લોકો જાગૃત છે, કેટલું શિક્ષણ ધરાવે છે તેના માટે અમે પહેલાં બેઝલાઇન સર્વે કરાવ્યો હતો. જેમાં આ ગામ ખરું ઉતર્યુ પછી અમે ગામને પસંદ કર્યું હતું. 'મહિલાઓ, કિશોરીઓ, ધો.6થી 8ના વિદ્યાર્થીઓ, ગામના ચોરે બેસતાં સિનીયર સિટીઝન એ બધા માટે ગ્રાહક જાગૃતિના કાર્યક્રમ કરીએ છીએ. દુકાનદાર માટે પણ અમે આવા કાર્યક્રમ કરીએ છીએ જેથી તેમને એવું ન થાય કે અમે અહીંયા જે કામ કરી રહ્યાં છીએ તે તેમની વિરૂદ્ધમાં કરી રહ્યાં છીએ.' તેઓ ઉમેરે છે કે, ગામની આંગણવાડીમાં લગભગ 30થી 40 મહિલા લાભાર્થીને ફ્રોડ કોલ આવ્યા હતા પણ જાગૃતિ કાર્યક્રમો કર્યા હોવાથી માત્ર 3 કે 4 મહિલાઓએ જ ઓટીપી આપ્યાં અને તેમના પૈસા ગયા છે. જ્યારે આસપાસના ગામોમાંથી તો ઘણાં બધાંના પૈસા જતાં રહ્યાં છે. આ અમારા માટે મોટી ઇમ્પેક્ટ છે. 'દુકાનદારો સાથે અમારો સારો રેપો બની ગયો છે. અમે લોકો તેમને અને ગ્રામજનોને એટલા જાગૃત કરવા માંગીએ છીએ કે દુકાનદાર ગ્રામજનોને એવી ક્વોલિટીવાળી વસ્તુ આપે કે ગ્રામજનોને બહાર જવાની જરૂર ના પડે.' 'જાગૃત ગામ એટલે શું? દરેકના બિહેવિયરમાં ચેન્જ આવે. આ ચેન્જ એકાદ વર્ષમાં ન આવે. જેથી અમે આ પ્રોજેક્ટ 3 વર્ષ માટે રાખ્યો છે. કોઇપણ વ્યક્તિને એકની એક વસ્તુ 10 વાર કહો ત્યારે તેનું ઓટોમેટિક બિહેવિયર બની જાય છે. કોઇ વારા ઘડીએ આવીને કહે કે તમે MRP ચેક કરો, બિલ લો એટલે આ બધું તે વ્યક્તિનું બિહેવિયર બની જાય છે.' 'આ અમારો સુઓમોટો પ્રોજેક્ટ છે. જે સુરેન્દ્રનગર જિલ્લામાં છે પણ તેના સિવાય બીજું કોઇ ગામ એવું પણ હોય કે જેમાં અમે લોકો આવું કરીએ અને વધારેને વધારે લોકોને જાગૃત કરીએ.' પોતાની વાત પૂરી કરતાં તેમણે કહ્યું, અમે મેત્રી ટ્રસ્ટને સતત અપડેટેડ માહિતી શેર કરતાં રહીએ છીએ કે જેથી તે માહિતી ગામ લોકો સુધી પહોંચે. અમારી ઘણી ઇચ્છા છે કે અમે બીજા ગામોમાં પણ આ રીતે એક્ટિવિટી કરીએ. આ માટે અમારી વાતચીત ચાલી રહી છે.
ગિફ્ટ સિટીના પાતાળમાં છુપાયેલી છે એક અનોખી દુનિયા. જ્યાં ગગનચુંબી ઈમારતોની નીચે ટ્રક પસાર થઈ શકે એટલી મોટી ટનલ છે. આ ટનલ 16 કિલોમીટર લાંબી છે જેમાંથી અંદાજે 5 કિલોમીટર તૈયાર છે. જમીનથી 22 ફૂટ નીચે લગાવાયેલી મોટી પાઈપો ગિફ્ટ સિટીની તમામ બિલ્ડીંગોમાં એસી સુધી કુલિંગ પહોંચાડવાનું કામ કરે છે. અહીં કચરાના નિકાલ માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. આધુનિક ટૅક્નોલોજી ધરાવતા આ શહેરમાં ઈન્ટરનેટ કનેક્શન અને પાવર સપ્લાય પણ આ ટનલમાંથી જ થાય છે. આ ટનલની અન્ય શું વિશેષતાઓ છે અને ગિફ્ટ સિટીનું પાતાળલોક કેવું છે એ જાણવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો. અને જુઓ 'ગુજરાત બિગ પ્રોજેક્ટ્સ'નો ત્રીજો એપિસોડ.
પરીક્ષામાં ચોરીઓ રોકવા ખાસ આયોજન:પરીક્ષામાં ચોરીઓ રોકવા કમ્પ્યુટર આધારિત ટેસ્ટ સેન્ટર્સની સ્થાપના
મહારાષ્ટ્ર સહિત દેશનાં વિવિધ રાજ્યોમાં મુખ્ય પરીક્ષાઓ ન્યાયી અને પારદર્શક રીતે પાર પડે તે માટે ઈનોવેટિવ્યુ દ્વારા કમ્પ્યુટર આધારિત પરીક્ષા કેન્દ્રો (સીબીટી) સહિત પરીક્ષા કેન્દ્રો સ્થાપવા માટે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને પરીક્ષા મંડળો સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરવાનું લક્ષ્ય રાખ્યું છે. 2017માં આશિષ મિત્તલ દ્વારા સ્થાપિત અને નોઈડામાં વડામથક ધરાવતી સંસ્થા હાલમાં પરીક્ષાઓ, ચૂંટણીઓ અને વિવિધ કાર્યક્રમો માટે ઈન્ટીગ્રેટેડ સલામતી સમાધાન પ્રદાન કરે છે. તે ISaaS (ઈન્ટીગ્રેટેડ સિક્યુરિટી એઝ અ સર્વિસ), ERaaS (ઈક્વિપમેન્ટ રેન્ટલ એઝ અ સોલ્યુશન) અને SIaaS (સિસ્ટમ ઈન્ટીગ્રેશન એઝ અ સોલ્યુશન) જેવી સેવાઓ પૂરી પાડે છે. એક્ઝામ ઈન્ટીગ્રેટેડ સિક્યુરિટી સર્વિસિયેબલ માર્કેટ નાણાકીય વર્ષ 2029 સુધી 34.1 ટકાથી વધશે અને એક્ઝામિનેશન્સ ઈન્ટીગ્રેટેડ સિક્યુરિટી સર્વિસિયેબલ અવેલેબલ માર્કેટ (એસએએમ) રૂ. 2683.6 કરોડ સુધી વધવાની ધારણા છે, જ્યારે કુલ પહોંચક્ષમ બજાર 2025ના અંત સુધી રૂ. 11,085.9 કરોડ સુધી વધશે. સંસ્થા દર વર્ષે 50 ટકાથી વધુ વૃદ્ધિ દર નોંધાવી રહી છે. હવે તે રૂ. 2000 કરોડના આઈપીઓ થકી પબ્લિક લિસ્ટિંગનું પણ આયોજન કરી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું. સંસ્થા અત્યાધુનિક પરીક્ષા કેન્દ્રો પણ સ્થાપે છે. રાયપુરમાં હાલમાં સ્થપાઈ રહેલું પરીક્ષા કેન્દ્ર અત્યાધુનિક હશે, જે અન્યત્ર પણ બનાવવાની તૈયારી છે. બિહાર સરકાર પાસેથી 8400 બેઠક સાથે નવ કેન્દ્રમાં સીબીટી કેન્દ્રો સ્થાપવાનો ઓર્ડર મળ્યો છે. નોઈડામાં 4700 નોડ્સ સાથે કેન્દ્ર સ્થાપિત કરાશે, એમ તેમણે જણાવ્યું હતું. અમારી સલામતી વ્યવસ્થા એક સજ્જડ છે કે અમે જ્યાં પણ સેવા પૂરી પાડીએ ત્યાં પરીક્ષામાં ચોરીના પ્રયાસ પ્રવેશ સ્તરે જ પકડી પાડીએ છીએ. ચોરી પકડાયા પછી પરીક્ષા આયોજન કરનારી સંસ્થાને તે કેસ સોંપી દઈએ છીએ. એકંદરે ચોરી રોકવા માટે સરકારના સ્તરેથી વધુ કડક નિયમો બનાવવાની જરૂર છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
યેલો એલર્ટ:આગામી 48 કલાકમાં મહારાષ્ટ્રમાં ઠંડીનું જોર હજુ વધશે
ઉત્તર ભારતમાંથી આવી રહેલો તેજ ઠંડો પવન હવે મહારાષ્ટ્રમાં ભારે ગતિએ પ્રવેશી રહ્યો છે, અને તેની અસર રાજ્યના તાપમાન પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી લઘુતમ તાપમાન સતત ઘટી રહ્યું છે, અને ગુરુવારે રાત્રે રાજ્યનાં ઘણાં શહેરોમાં પારો પણ 10 ડિગ્રીથી નીચે ગયો હતો. મુંબઈમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે પ્રવાસીઓના પ્રિય માથેરાનમાં 17 ડિગ્રી નોંધાયું હતું. જોકે સૌથી વધુ ઠંડી અહિલ્યાનગરમાં અનુભવાઈ હતી, જ્યાં તાપમાન 6.6 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. પુણે અને નાશિક સહિત ઉત્તર મહારાષ્ટ્રનાં ઘણાં શહેરોમાં પારો 7-8 ડિગ્રીની વચ્ચે સ્થિર થઈ ગયો છે અને નાગરિકો રીતસર ધ્રુજી રહ્યા છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે તે વધુ તીવ્ર બનશે. અહિલ્યાનગરે સતત ત્રીજા દિવસે રાજ્યના સૌથી ઠંડા જિલ્લા તરીકેનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. અહીં ઠંડીએ 6.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. વિદર્ભ સહિત મધ્ય અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં પણ લઘુતમ તાપમાન સતત ઘટી રહ્યું છે. ઘણી જગ્યાએ રાત્રિનો પારો સામાન્ય સરેરાશ કરતાં 4 થી 6 ડિગ્રી નીચે નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતમાં બનેલી શીત લહેર ઝડપથી દક્ષિણ તરફ આગળ વધી રહી છે અને તેની સીધી અસર મહારાષ્ટ્ર પર પડી રહી છે. આગામી બે દિવસમાં રાજ્યભરમાં શીત લહેર વધુ તીવ્ર બનશે તેવી આગાહી કરવામાં આવી છે. કરા પડવાની સાથે આ ઠંડીમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રાત્રિ જીવન ઠપ થઈ ગયું છે. રાજ્યમાં ઓરેન્જ અને યેલો એલર્ટ: રાજ્યમાં વધતી ઠંડીને કારણે હવામાન વિભાગે મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, વિદર્ભ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, તેલંગાણા અને છત્તીસગઢ વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. જલગાંવ, નાસિક, અહમદનગર, સોલાપુર, છત્રપતિ સંભાજીનગર, જાલના, પરભણી, હિંગોલી, નાંદેડ, નાગપુર, ગોંદિયા, વર્ધા જેવા જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. નિષ્ણાતોએ આગાહી કરી છે કે આગામી થોડા અઠવાડિયામાં તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે કારણ કે ઉત્તર તરફથી મોજાઓની ગતિ વધી રહી છે. લા નિનોના પ્રભાવને કારણે, આ હવામાન પ્રક્રિયા, ડિસેમ્બર અને જાન્યુઆરી બંને રાજ્ય માટે સૌથી ઠંડા મહિના હોવાની સંભાવના છે. રાજ્યના તમામ ભાગોમાં હવામાન પરિવર્તનની અસર સ્પષ્ટપણે દેખાઈ રહી છે, અને ખેડૂતો અને સામાન્ય લોકોને પણ સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. ઘણી જગ્યાએ પારો એક આંકડામાંગુરુવારે નોંધાયેલા લઘુતમ તાપમાનના આંકડામાં રાજ્યના મોટા ભાગોમાં ઠંડીની અસર સ્પષ્ટપણે જોવા મળી હતી. અહિલ્યાનગરમાં 6.6, પુણેમાં 7.9, જલગાંવમાં 7.0, માલેગાંવમાં 8.8, નાશિકમાં 8.2, ગોંદિયામાં 8.0, નાગપુરમાં 8.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મહાબળેશ્વરમાં 11.1 અને સાંગલીમાં 12.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સોલાપુરમાં 13.2 અને કોલ્હાપુરમાં 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વર્ધામાં 9.9, યવતમાળમાં 10, પરભણીમાં 10.4, અકોલામાં 10.0 અને અમરાવતીમાં 10.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે દર્શાવે છે કે વિદર્ભમાં પણ ઠંડીની તીવ્રતા હતી. નાસિક જિલ્લાના નિફામાં પારો 6.1 ડિગ્રી સુધી ઘટી ગયો હતો, જ્યારે ધુળે અને અહમદનગરના કેટલાક ભાગોમાં તાપમાન 4 ડિગ્રી સુધી ઘટી ગયું હતું. આ પરિસ્થિતિને કારણે, મેદાની વિસ્તારોમાં રહેતા સામાન્ય નાગરિકોએ પણ રાત્રિના સમયે બહાર નીકળવાનું બંધ કરી દીધું છે. 48 કલાક સુધી ઠંડીનો કહેર ચાલુ રહેશેહવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ, આગામી 48 કલાકમાં મહારાષ્ટ્રમાં ઠંડીનું પ્રમાણ વધુ વધવાની શક્યતા છે. ખાસ કરીને મરાઠવાડાના જાલના, બીડ, પરભણી, નાંદેડ અને લાતુર, વિદર્ભના ગોંદિયા અને નાગપુર, ઉત્તર મહારાષ્ટ્રના નાસિક, ધુળે, નંદુરબાર, જલગાંવ, અહમદનગર અને પશ્ચિમ મહારાષ્ટ્રના પુણે અને સોલાપુર જિલ્લાઓમાં તાપમાન સરેરાશથી નીચે રહેવાની શક્યતા છે. ઠંડીના મોજાની અસરને કારણે સવાર અને સાંજે ઠંડીનું મોજું ખૂબ જ વધી ગયું છે અને નાગરિકો ગરમ કપડાંનો ઉપયોગ કરી રહ્યા છે. રાજ્યના મોટાભાગના ભાગોમાં દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ જોવા મળે છે, પરંતુ ગરમી ઓછી છે. હવામાન વિભાગની આગાહી સ્પષ્ટ છે કે, આ ઠંડીનું મોજું થોડા સમય માટે આપણી સાથે રહેશે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'
મહાપાલિકા પ્રશાસને ઝીલ્યો મોટો પડકાર:મુંબઈના 41 હજાર 2 વખત નામવાળા મતદારોના ઘરે જઈને રૂબરૂ મુલાકાત
બે વખત નામવાળા મતદારોની ચકાસણી કરવાનો મોટો પડકાર મહાપાલિકા પ્રશાસને ઝીલ્યો છે. હાલની સ્થિતિમાં વોર્ડના સ્તરે 250 કર્મચારીઓની આ કામ માટે નિમણુક કરવામાં આવી છે. મતદાન કેન્દ્ર પ્રમાણે યાદી જાહેર કરવાની મુદત ઠેલાણી છે અને હવે 27 ડિસેમ્બરના અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. દરમિયાન એક જ વોર્ડમાં અનેક વખત નામવાળા 2.25 લાખ મતદારોની તપાસ કર્યા પછી 41 હજાર મતદારો બે વખત નામવાળા જણાયા છે. આ મતદારોના ઘરે જઈને મુલાકાત કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. તેમની પાસેથી એક જ ઠેકાણે મતદાન કરવા બાબતે પરિશિષ્ટ-1 ભરાવવામાં આવે છે. બે વખત નામવાળાની મતદાર યાદીમાં મોટા ભાગના મતદારોના નામ સરખા છે અને આવા મતદારોનો સમાવેશ વધુ હોવાનો અંદાજ મહાપાલિકાએ વ્યક્ત કર્યો છે. આ પહેલાં રાજ્ય ચૂંટણી પંચે વોર્ડ પ્રમાણે મતદાર યાદી જાહેર કરવા 10 ડિસેમ્બરની મુદત આપી હતી. હવે એમાં ફેરફાર કરીને હવે 15 ડિસેમ્બરના વોર્ડ પ્રમાણે મતદાર યાદી જાહેર કરવામાં આવશે. તેમ જ મતદાન કેન્દ્રોની યાદી 15ના બદલે 20 ડિસેમ્બર તો મતદાન કેન્દ્ર પ્રમાણેની યાદી 27 ડિસેમ્બરના જાહેર કરવામાં આવશે. એક જ વોર્ડની હદમાં મતદાર, ઈમારત કે ચાલ બીજા વોર્ડમાં હોય તો એમાં અગ્રતાક્રમે સુધારો કરવામાં આવે છે. તેમ જ બે વખત નામવાળા મતદારોની તપાસ પણ યુદ્ધના ધોરણે ચાલુ છે. રાજ્ય ચૂંટણી પંચ તરફથી મહાપાલિકાને મળેલી મતદાર યાદીમાં 11 લાખ 1 હજાર 505 બે વખત નામવાળા મતદાર જણાયા હતા. આ મતદારોની ફોટો પ્રમાણે ચકાસણી મહાપાલિકાએ શરૂ કરી. એના માટે દરેક વોર્ડમાં વિશેષ યંત્રણા ઊભી કરવામાં આવી. મહાપાલિકાના એક જ વોર્ડ કાર્યાલયની હદમાં અનેક વખત નામ ધરાવતા 2 લાખ 25 હજાર 68 બે વખત નામવાળામાંથી 1.12 લાખ મતદારોના ઘરે જઈને મુલાકાત કરવાની કાર્યવાહી મહાપાલિકા તરફથી શરૂ કરવામાં આવી છે.
ચુકાદો:મતદાર યાદીની 10 હજારથી વધુ વાંધા-સૂચના પર ચુકાદો
આગામી મહાપાલિકા ચૂંટણીને ધ્યાનમાં લઈને જાહેર કરવામાં આવેલી પ્રભાગ પ્રારુપ મતદાર યાદી બાબતે કુલ 11 હજાર 497 વાંધા અને સૂચના મળી હતી. એમાંથી 10 હજાર 668 વાંધા અને સૂચના પર ચુકાદો આપવામાં આવ્યો છે. બાકીના 829 વાંધા અને સૂચનાબે વખત નામવાળા બાબતની છે એવી માહિતી અતિરિક્ત મહાપાલિકા આયુક્ત ડો. અશ્વિની જોશીએ આપી હતી. પ્રભાગ પ્રારુપ મતદાર યાદી પર વાંધા અને સૂચના પર નિર્ણય આપવા પ્રશાસકીય વિભાગના સહાયક આયુક્તની પ્રાધિકૃત અધિકારી તરીકે નિયુક્તી કરવામાં આવી છે. મહાપાલિકાના 26 પ્રશાસકીય વોર્ડમાં કુલ 11 હજાર 497 વાંધા અને સૂચના મળી હતી. એમાંથી 10 હજાર 668 વાંધા અને સૂચના પર પ્રાધિકૃત અધિકારીએ નિર્ણય આપ્યો હતો.બાકીના 829 વાંધા બે વખત નામવાળા મતદાર બાબતે છે. પ્રારુપ મતદાર યાદી પર મળેલા વાંધા અને સૂચના પર પ્રાધિકૃત અધિકારીએ આપેલા નિર્ણય અનુસાર અંતિમ મતદાર યાદી પ્રમાણે કન્ટ્રોલ ચાર્ટ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલુ છે. એમાં જે વોર્ડમાં સ્થળાંતરિત મતદારોની સંખ્યા 100થી વધુ વધારે છે એવા તમામ પ્રકરણમાં ગુગલ નકશા અનુસાર વોર્ડ મુજબ સીમા, ત્યાંના ઘર, ઈમારતો, ચાલી, કોલોની વગેરેની તપાસ તરત કરવી.
મુંઢવા જમીન કૌભાંડ કેસ:પાર્થ પવારની સામે હજુ સુધી કોઈ કેસ કેમ દાખલ કરાયો નથીઃ વિપક્ષ
પુણેમાં મુંઢવા જમીન કૌભાંડ કેસમાં ઉપ મુખ્ય મંત્રી અજિત પવારના પુત્ર પાર્થ પવાર મુશ્કેલીમાં છે. આ કેસમાં તેમની સામે કેસ નોંધવાની માગણી કરવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હવે મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતે આ અંગે સ્પષ્ટતા આપી છે. કોઈ પણ કાર્યવાહીમાં એફઆઈઆર એ પહેલું પગલું છે. પરંતુ એફઆઈઆરમાં નામ આવવાથી તેનો અર્થ એ નથી કે સંબંધિત વ્યક્તિ દોષી છે અને એફઆઈઆરમાં નામ ન હોવાનો અર્થ એ નથી કે તે દોષી નથી, એમ તેમણે જણાવ્યું હતું. પુણેમાં મુંઢવા જમીન કૌભાંડ હાલમાં રાજ્યભરમાં ચર્ચામાં છે. આ કેસમાં પાર્થ પવાર પર મુંઢવામાં ૧૮૦૦ કરોડ રૂપિયાની જમીન માત્ર ૩૦૦ કરોડ રૂપિયામાં ખરીદવાનો આરોપ છે. સરકારે આ વ્યવહાર રદ કર્યો છે. આમાં કેસ પણ નોંધવામાં આવ્યો છે, પરંતુ હવે વિપક્ષ અને સામાજિક કાર્યકરોએ આ કેસમાં પાર્થ પવાર સામે કેસ નોંધવાની માગણી કરી છે. આ મામલે સરકારની ચારે બાજુ ટીકા થઈ રહી છે, ત્યારે મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.મુખ્ય મંત્રીએ કહ્યું, આ પુણેમાં જમીન વ્યવહારનો મામલો છે. આ મામલો પ્રકાશમાં આવ્યા પછી, સરકારે કાર્યવાહી કરવામાં એક મિનિટ પણ બગાડી નહીં. લોકો માગણી કરે તે પહેલાં જ મેં આ મામલે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો. તે પછી, તાત્કાલિક કેસ નોંધવામાં આવ્યો. આ કેસમાં, સરકારી જમીન વેચનાર વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો છે. ખરીદદારોની સહીઓ સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. ઉપરાંત, આ કેસમાં મદદ કરનારા અધિકારીઓ સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.
રેલવે અકસ્માત પ્રકરણે વળતર ચુકવવાનો આદેશ:લોકલના દરવાજા પર ઊભા રહેવું તે બેદરકારી નથીઃ કોર્ટ
ગિરદીના સમયે ઉપનગરીય લોકલમાં પ્રવાસ કરતા પ્રવાસીઓએ સખત ગિરદીના કારણે દરવાજા પર ઊભા રહી પોતાનો જીવ જોખમમાં મૂક્યા વિના વિકલ્પ નથી. કોર્ટ પણ આ વાસ્તવિકતા નકારી શકતી નથી એમ હાઈ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું. તેમ જ પ્રવાસીઓના આવા વર્તનને બેદરકારી ગણી શકાય નહીં એમ મહત્વનું નિરીક્ષણ નોંધી રેલવે અકસ્માતમાં મૃત્યુ પામેલા પ્રવાસીના કુટુંબીઓને આપવામાં આવેલા વળતરની રકમ યથાવત રાખી હતી. લોકલના દરવાજામાં ઊભા રહીને પ્રવાસ કરવાની બેદરકારીના કારણે પ્રતિવાદીના પુત્રનો અકસ્માત થયો એવો રેલવે પ્રશાસનનો દાવો અમાન્ય કરીને જજ જિતેન્દ્ર જૈનની સિંગલ બેન્ચે ઉપરોક્ત ચુકાદો આપ્યો. રેલવે અકસ્માત દાવો ન્યાયાધિકરણે ડિસેમ્બર 2009માં પ્રતિવાદીને વળતર ચુકવવાનો આદેશ આપ્યો હતો. આ આદેશને કેન્દ્ર સરકારે હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. પશ્ચિમ રેલવેમાં ભાઈંદરથી મરીનલાઈન્સ સ્ટેશન દરમિયાન 28 ઓક્ટોબર 2005ના પ્રતિવાદીનો પુત્ર લોકલમાંથી પડી ગયો. એ પછી સારવાર દરમિયાન થોડા દિવસમાં એનું મૃત્યુ થયું હતું. ગિરદીના સમયે વિરાર-ચર્ચગેટ લોકલમાં સખત ગિરદી હોય છે.
સિટી એન્કર:ધારાવીમાં 2% લોકો અયોગ્ય; નવા આવાસ માટે બહુમતી લોકો સુરક્ષિત
પુનઃવિકાસ પ્રોજેક્ટ હેઠળ ધારાવીના 80% રહેવાસીઓને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હોવાના દાવા ખોટા હોવાનું જાણવા મળ્યું છે. સત્તાવાર DRP અંતિમ જોડાણ-II ડેટા દર્શાવે છે કે કુલ 3,518 ટેનામેન્ટમાંથી માત્ર 75 (2%) ને અત્યાર સુધી અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ (DRP) ની વિવિધ પાત્રતા શ્રેણીઓ હેઠળ 57% થી વધુ રહેવાસીઓ પહેલાથી જ સુરક્ષિત છે. કુલ 3,518 ટેનામેન્ટમાંથી, 2,009 (57%) આવાસ લાભો માટે પાત્ર છે, જેમાંથી 1,178 (33%) ધારાવીમાં ઇન-સીટુ રિહેબિલિટેશન માટે લાયક છે. ડેટા એ પણ દર્શાવે છે કે લગભગ 1,078 (30.6%) ટેનામેન્ટ હાલમાં અધૂરા દસ્તાવેજો અથવા વિવિધ અન્ય સરકારી એજન્સીઓ સાથે ચકાસણી ચાલી રહી હોવાને કારણે પેન્ડિંગ સ્થિતિમાં છે. આ કેસોને નકારવામાં આવ્યા નથી અને ચકાસણી પૂર્ણ થયા પછી તેની સમીક્ષા કરવામાં આવશે, એમ DRP અધિકારીએ જણાવ્યું હતું. 330 બાંધકામો શૌચાલય વગેરે શ્રેણીમાં: ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે કે મોટાભાગના રહેવાસીઓ વિવિધ શ્રેણીઓ હેઠળ પાત્ર બની રહ્યા છે. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે ધારાવીકરોને ગેરમાર્ગે દોરવા માટે ઇરાદાપૂર્વક ખોટી માહિતી ઝુંબેશનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કે મેઘવાડી, આઝાદ નગર, તિલક નગર અને કમલા રમણ નગર જેવા વિસ્તારોના મોટા ભાગને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. અમે રહેવાસીઓને અચોક્કસ માહિતી અથવા અફવાઓથી ગેરમાર્ગે દોરવા વિનંતી કરીએ છીએ. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય બધા માટે આવાસ છે, અને સરકાર તેને પહોંચાડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે, DRP અધિકારીએ જણાવ્યું. ચાર સ્તરીય ફરિયાદ નિવારણ પ્રણાલી: અધિકારીએ વધુમાં ઉમેર્યું કે અંતિમ પરિશિષ્ટ-II નું પ્રકાશન પ્રક્રિયાનો અંત નથી. ફરિયાદોના નિરાકરણ માટે ચાર-સ્તરીય ફરિયાદ નિવારણ પ્રણાલી મૂકવામાં આવી છે. રહેવાસીઓ પહેલા અપીલ અધિકારી (AO) નો સંપર્ક કરી શકે છે. જો તેઓ સંતુષ્ટ ન હોય, તો તેઓ ફરિયાદ નિવારણ સમિતિ (GRC) માં જઈ શકે છે, જેમાં સર્વે પ્રક્રિયાથી સ્વતંત્ર વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે, અધિકારીએ જણાવ્યું. કલેક્ટરની આગેવાની હેઠળની અપીલ સમિતિજો મામલો વણઉકેલાયેલ રહે છે, તો તેને એડિશનલ કલેક્ટરની આગેવાની હેઠળની અપીલ સમિતિ સમક્ષ લઈ શકાય છે, જે DRP CEO ને રિપોર્ટ કરતી નથી. અંતિમ વિકલ્પ એપેક્સ ગ્રીવન્સ રિડ્રેસલ કમિટી (AGRC) છે, જે DRP સંબંધિત કેસોને ફાસ્ટ-ટ્રેક કરવા માટે બનાવવામાં આવેલી અર્ધ-ન્યાયિક સંસ્થા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુંબઈ હાઈકોર્ટનો ચૂકાદો:મરાઠી ભાષાના મામલે પૂર્વ મનસે નેતા સામેની FIR રદ કરવા નકાર
મુંબઈ હાઈકોર્ટે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના ભૂતપૂર્વ નેતા અકિલ ચિત્રે સામેની મારપીટ સંબંધિત એફઆઈઆર રદ કરવાની માગને નકારી કાઢી છે. ડિસેમ્બર 2020માં એમેઝોન કંપની તરફથી હાજરી આપતા વકીલ દુર્ગેશ ગુપ્તા પર થયેલા હુમલામાં ચિત્રેની સંડોવણીનો આરોપ છે. હવે તેઓ શિવસેના (યુબીટી)માં જોડાયા છે. ન્યાયમૂર્તિ અજય ગડકરી અને રણજિતસિંહ ભોસલેની ખંડપીઠે જણાવ્યું કે, એફઆઈઆર, તપાસના કાગળો, સાક્ષીઓનાં નિવેદનો અને ઈજાના પ્રમાણપત્રના આધારે ચિત્રે સામે પ્રાથમિક દ્રષ્ટિએ કેસ બને છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, ઉપલબ્ધ પુરાવાઓ દર્શાવે છે કે આરોપી મારપીટમાં સંકળાયેલો છે અને તેથી 482 સીઆરપીસી હેઠળ એફઆઈઆર રદ કરવાની માગ સ્વીકાર્ય નથી. ઓક્ટોબર 2020માં મનસે કાર્યકરો એમેઝોન પર દૈનિક કામગીરીમાં મરાઠી ભાષાનો ઉપયોગ કરવાની માગ સાથે દબાણ કરી રહ્યા હતા. ચિત્રે પર કંપનીના કર્મચારીઓને ધમકી આપવાનો પણ આરોપ છે. તેના આધારે કંપનીએ દિંડોશી સ્થિત સિટી સિવિલ કોર્ટમાં પ્રતિબંધ આદેશ માગતી અરજી કરી હતી, જે મુજબ કોર્ટે 22 ઓક્ટોબરે એકતરફી સ્ટે આપ્યો હતો. વકીલ દુર્ગેશ ગુપ્તાએ ફરિયાદમાં જણાવ્યું કે, કોર્ટ રૂમની બહાર આવતાં જ ત્રણ અજાણ્યા લોકોએ તેમનું નામ પૂછ્યું અને તેમને મુક્કા-લાતોથી માર્યા. અન્ય વકીલો તેમને બચાવવા દોડતાં હુમલાખોરો ભાગી ગયા. બાદમાં ફરિયાદી અને અન્ય વકીલોએ કોર્ટ પાર્કિંગમાં ચિત્રે પોતાની કાર કાઢતા જોયા અને હુમલાખોરોમાંનો એક વ્યક્તિ કારમાં હાજર હતો. ચિત્રેની દલીલો અને અદાલતનું વલણચિત્રેએ દલીલ કરી કે તેમણે હુમલામાં ભાગ લીધો નહોતો અને ફરિયાદમાં તેમનું સીધું નામ નથી. પરંતુ ખંડપીઠે કહ્યું કે તપાસમાં તેમની સંડોવણીના પુરાવા છે, અને આવા મુદ્દાઓ ટ્રાયલમાં જ તપાસાય, એફઆઈઆર રદ કરવા જેવી સ્થિતિ નથી. અદાલતે ચિત્રેને ટ્રાયલ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરવાનો વિકલ્પ આપ્યો. 2021થી તેમને મળેલી આંતરિક રાહત વધારવાનો ઇનકાર કરતાં કોર્ટે નોંધ્યું કે ચાર વર્ષ વીતી ગયાં છે અને તપાસ પૂર્ણ થવાની છે. અંતે, અરજી ફગાવી દેવામાં આવી.
ઘરફોડ ચોરી:સોનગઢમાં બંધ મકાનમાં તસ્કરી થઈ
ભાવનગર જિલ્લાના સોનગઢ ગામે એક પરિવારના ત્રણ સભ્યો મકાનને તાળું મારી નિત્યક્રમ મુજબ નોકરી ઉપર ગયા હતા. જે દરમિયાન બપોરના સુમારે ઘર માલિક હરેશભાઇ દવે ઘરે પરત ફર્યા હતા. જે દરમિયાન મકાનના તાળા તૂટેલા જોયેલા તેમજ ઘરના સી.સી.ટી.વી. કેમેરા પણ તુટેલી હાલતમાં જોતા ઘરની અંદર પ્રવેશ કરી જોતા, ઘરમાં રહેલ કબાટ તેમજ તિજોરીમાં રાખેલા સોનાના ઘરેણાં તેમજ રોકડ રૂા. 28,000 મળી કુલ રૂા. 83,000ના મુદ્દામાલની કોઇ અજાણ્યા તસ્કરો દ્વારા ચોરી કરી ફરાર થઇ ગયાની જાણ થઇ હતી. જે બાદ વૈભવભાઇ દવે દ્વારા સોનગઢ પોલીસ મથકમાં જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે ધસી જઇ, અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સિદ્ધિ:સૌરાષ્ટ્ર કક્ષાના કલા મહાકુંભમાં નંદકુંવરબા કન્યા વિદ્યાલયની સિદ્ધિ
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી આયોજિત અમરેલી ખાતે યોજાયેલા કલા મહાકુંભમાં નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયના વિદ્યાર્થીનીઓ તથા શિક્ષકોએ નંબર મેળવી વિશિષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 15 થી 20 વર્ષના વયજૂથમાં લગ્નગીતની સ્પર્ધામાં પૂનમ ચૌહાણ તથા સહગાયિકાઓમાં નિરાલીબા વાળા, હસ્તિ ગોટી, મોના પરમાર, જાનવી દવેએ પ્રદેશ કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે તથા 21 થી 59ના વય જૂથમાં લગ્નગીતમાં સ્કૂલના શિક્ષિકા આશા વાળા તથા સહગાયિકાઓમાં ભાવના ગોહિલ, નીતા જોળિયા, ભૂમિદા પંડ્યા તથા શીતલ સાંખટે સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાએ તૃતીયસ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. શાળાના સંગીત શિક્ષક કલાપી પાઠક દ્વારા માર્ગદર્શન - સંગત પ્રાપ્ત થઈ હતી.
રીક્ષા ગેંગ સક્રિય થઈ:ત્રણ શખ્સોએ વૃદ્ધાને રીક્ષામાં બેસાડી સોનાની બંગડીઓ સેરવી લીધી
ભાવનગર શહેર તેમજ જિલ્લામાં ચીલ ઝડપ ગેંગ બાદ રિક્ષા ગેંગ સક્રિય થઇ છે. નારી ચોકડી નજીક આવેલ ટોયોટા ના શો રૂમ નજીક એક વૃદ્ધા પોતાના દિકરાના ઘરે ચાલીને જતાં હતા જે દરમિયાન પાછળથી રિક્ષામાં આવેલા મહિલા સહિત ત્રણ શખ્સોએ વૃદ્ધાને વિશ્વાસમાં લઇ, અમે એ બાજુ જ જઇએ છીએ તેમ કહી, વૃદ્ધાને રિક્ષામાં બેસાડી, વૃદ્ધાના હાથમાંથી સોનાની બંગડીઓ સેરવી લઇ, લૂંટ કરી ફરાર થઇ જતાં ત્રણ શખ્સો વિરૂદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી. શહેરના ટોયોટા શો રૂમ નજીક ઘનશ્યામનગર વિસ્તારમાં રહેતા અને શાંતાબેન રજનીકાંતભાઇ સિદ્ધપુરાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, નારાયણ રેસીડેન્સીમાં રહેતા તેમના પુત્ર લલીતભાઇના ઘરે તેમના ઘરેથી ચાલીને જતાં હતા. જે દરમિયાન વિશાલ ટ્રેડર્સ વાળા ખાંચામાં પહોંચતા પાછળથી એક રિક્ષા આવી હતી અને રિક્ષામાં એક મહિલા સહિત ત્રણ શખ્સો બેઠા હતા. જે રિક્ષા ચાલકે રિક્ષા શાંતાબેન પાસે ઉભી રાખી, રિક્ષામાં બેસી જાવ, આગળ ઉતારી દઇશું અમે એ બાજુ જ જઇએ છીએ તેમ કહી શાંતાબેનને વિશ્વાસમાં લઇ રિક્ષામાં બેસાડી દિધા હતા અને મહિલાએ શાંતાબેનને વાતોમાં ભોળવી શાંતાબેનના હાથોમાંથી સોનાની બંગડીઓ સેરવી, લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. જે બાદ દિકરાના ઘરે પહોંચેલા શાંતાબેને હાથમાં બંગડી ન જોવા મળતા, તસ્કરીની જાણ થતાં વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી
વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઉત્તમ પ્રદર્શન:કુલદિપસિંહ વાળાએ દેશનું ગૌરવ વધાર્યુ
પાલિતાણા તાલુકાના મોટી પાણીયાળી ગામના કુલદિપસિંહ બી વાળાએ વિશ્વના વિવિધ દેશના ખેલાડીઓ વચ્ચે દક્ષિણ આફ્રિકાના મોસલ બે ખાતે યોજાયેલ વર્લ્ડ ચેમ્પિયનશિપની ટ્રાયથલે સ્પર્ધામાં તેમના કોચ અંકુરસિંહ તેમજ તેમના પિતા અને શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના આચાર્ય બી. એ.વાળાના માર્ગદર્શન હેઠળ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું ત્રણ કિલોમીટર દોડ અને સમુદ્રમાં 200 મીટર સ્વીમીંગ તેમજ ગન દ્વારા શૂટિંગ કરીને તેમના સાથી ખેલાડીઓ મધ્ય પ્રદેશના યશ બાથરે અને ગોવાના ઉદેશ માજીક એમ ત્રણેયની બનેલી ટીમે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવી દક્ષિણ આફ્રિકામાં તિરંગો લહેરાવતા ગુજરાત રાજ્યની સાથે સમગ્ર ભારત દેશનું નામ રોશન કર્યું છે અને ભાવનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
દુર્ઘટનાની ભીતિ:સમઢીયાળામાં વીજ થાંભલા પર વેલા વીંટળાતા દુર્ઘટનાનો ભય
તળાજા તાલુકાના સમઢીયાળા ગામે ખેતીવાડીની વીજળીની લાઈનમાં ઘણી જગ્યાએ ડબલ થાંભલા આવેલા છે. સમઢિયાળાથી બેલા જવાના રોડ ઉપર ડબુકિયા નદીના આવા ડબલ થાંભલા આવેલા છે ત્યાં બંને થાંભલા ઉપર ચોમાસાના વખતથી વેલા વીંટળાઈ ગયેલા જોવા મળે છે. વરસાદ જતો રહ્યો એને લગભગ બે મહિના થવા આવ્યા છે છતાં પણ પીજીવીસીએલ દ્વારા આવા વેલા અને ઝાડીઝાંખરાને દૂર કરવાની કામગીરી કરવામાં આવી નથી. આ થાંભલા ઉપર બે લાઈન આવેલી છે.પરિણામે ઘણી વખત થાંભલા ઉપર વીજળીનો કરંટ લાગવાથી તણખા જરે છે અને જંપર બળી જાય છે.આ રીતે વેલાને કારણે ખેતીવાડીની લાઈટ પણ જતી રહે છે આથી ખેડૂતોને પરેશાની ભોગવી પડે છે.
લોક માંગ:ધંધુકાથી ફેદરાનો હાઇવે શરૂ, વલભીપુરને બસોનો લાભ આપો
ધંધુકાથી ફેદરા તરફના હાઇવે પર હાઇવેનુ રીકાર્પેટીંગ અને બ્રિજના નિર્માણનું કામ શરૂ કરવામાં આવતા ભાવનગર થી અમદાવાદ તરફ જતી એસ.ટી.બસોના રૂટમાં છેલ્લાં ઘણાં મહિનાઓથી વાયા ધોલેરા પરથી ડાયવર્ટ કરવામાં આવી હતી. રૂટોને ડાવવર્ટ કરતા પહેલા જે એસ.ટી.બસો વાયા વલભીપુર થઇને જતી હતી તેમાં કૃષ્ણનગર-મહુવા,કૃષ્ણનગર-ભાવનગર,અમદાવાદ-પાલીતાણાતળેટી(એ.સી.),બગદાણા -બાપુનગર, પાલીતાણા તળેટી -અમદાવાદ(એ.સી.),લુણાવાડા-પાલીતાણા તળેટી (એ.સી.), મહુવા-અમદાવાદ,.ભાવનગર-કૃષ્ણનગર,કૃષ્ણનગર-મહુવા, પાલીતાણા તળેટી-અમદાવાદ(એ.સી.), ભગુડા-રાધનપુર,બાપુનગર-તળાજા અને મહુવા-કૃષ્ણનગર આ તમામ રૂટોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જયારે ધંધુકા થી ફેદરા તરફનો હાઇવે પુન: રાબેતા મુજબ ખુલ્લો મુકવામાં આવ્યો છે ત્યારે ભાવનગર ડીવીઝન અને તેના તાબા તળેના ડેપો દ્વારા સંચાલતી બસોને વાયા ધોલેરા પરથી ડાયવર્ટ કરવામાં આવી હતી તે તમામ બસોના રૂટોને પણ થયાવત રીતે વાયા વલભીપુર થઇને ચાલુ કરવા જોઇએ. ધંધુકાથી ફેદરા વાળો હાઇવે બંધ કર્યા પછી આમ પણ વલભીપુર એસ.ટી.સ્ટેન્ડમાં માત્ર પાલીતાણા અને અમરેલી ડેપો દ્વારા -અમદાવાદ-કૃષ્ણનગરની મર્યાદીત સંખ્યામાં રૂટ ઉપર આધાર રાખવો પડે છે ત્યારે ભાવનગર ડીવીઝન અને ડેપો દ્વારા સંચાલીત રૂટો પણ પુન: રાબેતા મુજબ શરૂ થાય તેવી તાલુકાની મુસાફર જનતાની લાગણી અને માંગણી એસ.ટી.તંત્ર પાસે રાખી રહ્યાં છે. આ બાબતે એ.પી.એમ.સી.ના ડાયરેકટર મહેશ બી.ડાવરા એ વિભાગીય નિયામકને રજુઆત કરી છે. હાલમાં અમદાવાદ-વડોદરાના એસ.ટી.બસો વાયા ધોલેરા થઇને ચાલતી હોય તેના કારણે વલભીપુર અને અયોધ્યાપુરમ જવા માંગતા શ્રધ્ધાળુઓને નારી ચોકડીથી સરકારી અથવા ખાનગી વાહનનો સહારો લેવો ફરજીયાત છે. બસોનો જૈન તિર્થ સ્થાનો જવા પણ લાભ મળેવલભીપુર અને વલભીપુર નજીક આવેલ અયોધ્યાપુરમ્ તીર્થો એ જૈન સંપ્રદાયના આસ્થા અને શ્રધ્ધાના કેન્દ્રસમા દેરાસરો આવેલા છે જેમાં વલભીપુર તો જૈન સંપ્રાદયનું પ્રાચીન તીર્થ આવેલ છે પાલિતાણા ગિરીરાજ શેત્રુંજય તીર્થ જતા પહેલા જૈન યાત્રીકો અયોધ્યાપુરમ્ અને વલભીપુર તીર્થના દર્શન કર્યા પછી પાલિતાણા જતા હોય છે. હાલમાં અમદાવાદ-વડોદરાના એસ.ટી.બસો વાયા ધોલેરા થઇને ચાલતી હોય તેના કારણે વલભીપુર અને અયોધ્યાપુરમ જવા માંગતા શ્રધ્ધાળુઓને નારી ચોકડીથી સરકારી અથવા ખાનગી વાહનનો સહારો લેવો ફરજીયાત છે
ઇન્ડસઇન્ડ બેંક કૌભાંડ:મહિલા મેનેજરે પતિ સાથે મળી 110 મ્યુલ ખાતા ખોલાવી રૂ.1.5 કરોડ કમિશન લીધુ
ભાવનગરની ઈન્ડસઈન્ડ બેંકમાં 110 મ્યુલ એકાઉન્ટ ખોલાવી 6 મહિનામાં સાઈબર ક્રાઈમના રૂ.100 કરોડ દુબઈ મોકલવાના કૌભાંડમાં બેંકના મહિલા મેનેજર, તેના પતિ સહિત વધુ 4ની ધરપકડ કરાઇ છે. મેનેજરનો પતિ અગાઉ આ કૌભાંડમાં પકડાયેલા 10 આરોપીના સંપર્કમાં હતો. તેમની સાથે મળી તેણે બેંકમાં મ્યુલ એકાઉન્ટ ખોલાવ્યાં હતાં. જે પેટે મહિલા મેનેજર અને પતિ 1-2 ટકા કમિશન લેતાં હતાં. 26 રાજ્ય અને 6 કેન્દ્રશાસિત પ્રદેશમાં સાઈબર ફ્રોડના 719 કરોડ પડાવવાના કૌભાંડમાં સાઈબર સેન્ટર ઓફ એક્સિલન્સ ટીમે અગાઉ ભાવનગરની ઈન્ડસઈન્ડ બેંકના 2 કર્મી સહિત 10ની ધરપકડ કરી હતી. વધુ તપાસમાં આ કૌભાંડમાં ઈન્ડસઈન્ડ બેંકની ભાવનગર બ્રાંચના મેનેજર ભૂમિકા જગદીશ લશ્કરી, તેના પતિ સાહીલ સંજય સાધુની સંડોવણી બહાર આવતાં પોલીસે બંનેની ધરપકડ કરી પૂછપરછમાં સાઈબર ફ્રોડના નાણાંની હેરાફેરી માટે મહિપાલસિંહ વીરભદ્રસિંહ ગોહિલે તેમની બ્રાંચમાં 110 મ્યુલ એકાઉન્ટ ખોલાવ્યાં હતાં. તેમાંથી 109 એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલા સાઈબર ફ્રોડના રૂ.11 કરોડ ભાર્ગવ જનક પંડયાએ અન્ય આરોપીઓ સાથે મળી હવાલા-આંગડિયા તથા વોલેટ દ્વારા દુબઈ, કમ્બોડિયા, મ્યાનમાર મોકલ્યા હતા. જેના આધારે પોલીસે ભાર્ગવ અને મહિપાલસિંહની પણ ધરપકડ કરી હતી. આ કૌભાંડમાં ભૂમિકા અને સાહીલે ટ્રાન્જેક્શન પર 1-2 ટકા કમિશન લીધું હતું. જેની તપાસમાં 6 મહિનામાં 110માંથી 109 મ્યુલ એકાઉન્ટમાં રૂ.100 કરોડની હેરાફેરી થઈ હતી. આ 100 કરોડમાંથી દંપતીએ રૂ.1થી 1.5 કરોડ કમિશન લીધું હતું. ભૂમિકાએ KYC વિના 110 એકાઉન્ટ ખોલ્યાંપોલીસનું કહેવું છે કે, આરોપીઓએ ઈન્ડસઈન્ડ બેંકની ભાવનગર બ્રાંચમાં 6 મહિનામાં જ 110 મ્યુલ એકાઉન્ટ ખોલાવ્યાં હતાં. તેના માટે જરૂરી ડોક્યુમેન્ટનું પ્રોપર વેરિફિકેશન કરાયું નહોતુ. તે એકાઉન્ટ પૈકી 109 એકાઉન્ટમાં 6 મહિનામાં જ રૂ.100 કરોડનાં ટ્રાન્જેક્શન થયાં હતાં. કૌભાંડનો અણસાર આવતા ઈન્કવાયરી શરૂ થયેલીભૂમિકાબહેન ડિસેમ્બર 2023 માં ઈન્ડસ ઈન્ડ બેંકની ભાવનગર બ્રાંચમાં મેનેજર તરીકે જોડાયા હતા. હાલમાં તેમનો પગાર માસિક રૂ.73 હજાર હતો. તેઓ મ્યુલ એકાઉન્ટ કૌભાંડમાં સંડોવાયેલા હોવા અંગેની ફરિયાદ 2 મહિના અગાઉ બેંક સત્તાવાળાને મળી હતી. જેના આધારે વાઈસ પ્રેસિડેન્ટ દ્વારા ઈન્કવાયરી પણ કરવામાં આવી હતી. તેમની મ્યુક એકાઉન્ટ ઘારકોના સંપર્કમાં હોવાની કેટલીક માહિતી બેંક સત્તાવાળાને મળી હતી. પરંતુ બેંક સત્તાવાળા કોઈ પગલા લે તે પહેલા જ પોલીસે તેણીની ધરપકડ કરી હતી.
ભાવનગર શહેરના ઘોઘારોડ તેમજ બોરતળાવ પોલીસ મથકના કર્મચારીઓ દ્વારા ભાવનગર જિલ્લા સમન્વય પોર્ટલમાં નિરીક્ષણ કરી રહ્યા હતા. જે દરમિયાન ભાવનગર શહેરના બે શખ્સોના બેન્ક ખાતામાં રૂા. 45.50 લાખથી વધુના સાયબર ફ્રોડના નાણા જમા થયા હોવાની ગેરરીતિ થઇ હોવાની જાણ થતાં તપાસ હાથ ધરાઇ હતી. જે તપાસમાં બન્ને શખ્સો વિરુદ્ધ દસ જેટલી સાયબર ફ્રોડની અરજી થઇ હોવાનું જણાઇ આવતા પોલીસે બન્ને શખ્સો વિરૂદ્ધ જુદા જુદા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી, ઊંડી તપાસ શરૂ કરી છે. ભાવનગર શહેરમાં આવેલી ઇન્ડસઇન્ડ બેન્કના મહિલા મેનેજર સહિત ત્રણ કર્મચારીઓએ એજન્ટો સાથે મળીને રૂા. 719 કરોડથી વધુના સાયબર ફ્રોડ આચરવાની ઘટનાની સ્યાહી હજુ સુકાઇ નથી ત્યાં શહેરના વધુ બે શખ્સોની લાખો રૂપિયાના સાયબર ફ્રોડની સંડોવણી ખુલવા પામી છે. શહેરના ઘોઘારોડ પોલીસ મથક વિસ્તારના તેમજ બોરતળાવ પોલીસ મથકના વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી ભાવનગર જિલ્લા સમન્વય પોર્ટલમાં નિરીક્ષણ કરી રહ્યા હતા. જે દરમિયાન સરફરાજ હમીદભાઇ લાખાણી (રહે. પાંચ ભીલવાડા સર્કલ)ના બેન્ક ખાતામાં રૂા. 19,22,000 તેમજ જયેશ ભરતભાઇ જાંબુચા (પ્લોટ નં. 82 બી, હાદાનગર મેઇન રોડ રામજી મંદિર પાસે)ના બેન્ક ખાતામાં રૂા. 26,28,950 જેટલી રકમ ગેરકાયદેસર જુદા જુદા યુ.પી.આઇ. આર.ટી.જી.એસ. દ્વારા જમા થઇ હોવાનું જાણવા મળી આવ્યું હતું. આ ઉપરાંત સરફરાજ વિરૂદ્ધ કુલ 6 અરજી તેમજ જયેશ જાંબુચા વિરૂદ્ધ 4 અરજી જોવા મળતા પોલીસે આ બન્ને શખ્સો વિરૂદ્ધ ઘોઘારોડ અને બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. ફ્રોડમાં અન્ય શખ્સો સંડોવાયેલા છે કે કેમ તપાસ કરાશેપોલીસ દ્વારા જિલ્લા સમન્વય પોર્ટલમાં કામગીરી દરમિયાન સાયબર ફ્રોડના નાણા જમા થયાનુ જણાઈ આવ્યુ હતુ. આ સાયબર ફ્રોડમાં બન્ને શખ્સોની સાથે કોઈ અજાણ્યા અન્ય શખ્સોની સંડોવણી છે કે કેમ તેની વિસ્તૃત તપાસ કરવામાં આવનાર છે.
વિકાસની વાત:મહુવામાં નવા પોર્ટ વિકસાવવા જીએમબીએ તખ્તો ઘડયો
ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) દ્વારા ભાવનગર જિલ્લાના મહુવામાં એક નવું બંદર વિકસાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યુ છે. જીએમબીનું પગલું ગુજરાતના બિન-મુખ્ય બંદર માળખાને વિસ્તૃત કરવાની નવી મહત્વાકાંક્ષાઓનો સંકેત આપે છે. આ પગલાથી ભાવનગર જીલ્લામાં નવી આર્થિક અને રોજગારની તકો આવી શકે છે, અને વેપાર અને ઉદ્યોગ માટે દરિયાકાંઠાના જોડાણને મજબૂત બનાવી શકાય છે. તાજેતરમાં પ્રકાશિત ટેન્ડર નોટિસમાં, GMB એ બે પ્રસ્તાવિત બંદરો - એક મહુવા અને બીજું દહેજ ખાતે - માટે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ (DPR) તૈયાર કરવા માટે સલાહકારોને આમંત્રણ આપ્યું છે. DPR મહુવામાં બંદર સુવિધાઓ સ્થાપિત કરવા માટે તકનીકી શક્યતા, ડિઝાઇન, પર્યાવરણીય-મંજૂરી આવશ્યકતાઓ અને વ્યવસાયિક કેસની રૂપરેખા આપશે. તાજેતરના વર્ષોમાં બંદર વિસ્તરણ, જેમ કે હાલના બંદરો પર રાષ્ટ્રીય દરિયાઇ ટ્રાફિકમાં ગુજરાતના હિસ્સામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. જો જીએમબીનો પ્રોજેક્ટ સાકાર થાય, તો મહુવા બંદર અનેક લાભો આપી શકે છે, ભાવનગર અને સૌરાષ્ટ્રમાં આર્થિક વેગ મળી શકે છે. એક નવું બંદર રોકાણો, લોજિસ્ટિક્સ કંપનીઓ, વેરહાઉસ અને ઉત્પાદન એકમોને આકર્ષિત કરી શકે છે. દરિયાઈ વેપારની સારી પહોંચ ઉદ્યોગોને અંતરિયાળ વિસ્તારોમાં સ્થાપવા માટે પ્રોત્સાહિત કરી શકે છે, રોજગારીનું સર્જન કરી શકે છે અને આજીવિકામાં વધારો કરી શકે છે. મહુવા બંદર ગુજરાતના બંદરોના નેટવર્કમાં ઉમેરો કરશે, વધુ પડતા બોજવાળા ગુજરાતના બંદરીય ટર્મિનલ્સ પરનો ભાર ઘટાડશે અને ઉદ્યોગો માટે આયાત-નિકાસ કાર્ગો, જથ્થાબંધ માલ અને કાચા માલ માટે વૈકલ્પિક ઍક્સેસ પોઇન્ટ પ્રદાન કરશે. પ્રાદેશિક વિકાસ અને માળખાગત વિકાસ થઇ શકે છે, સંકળાયેલ માળખાગત સુવિધાઓ - રસ્તાઓ, રેલ લિંક્સ, સ્ટોરેજ અને લોજિસ્ટિક હબ - બંદરની આસપાસ આવી શકે છે, જે સ્થાનિક સમુદાયોને સુધારેલા પરિવહન અને સેવાઓ સાથે સંભવિત રીતે લાભ આપશે. ગુજરાત પહેલાથી જ અનેક નવા બંદરોની યોજના બનાવી રહ્યું છે અને તાજેતરમાં બંદર-સંબંધિત માળખાગત સુવિધાઓ, જહાજ નિર્માણ અને બ્રાઉનફિલ્ડ બંદર વિસ્તરણમાં ભારે રોકાણ કર્યું છે. ગુજરાતના બિન-મુખ્ય બંદરોમાં પહેલાથી જ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે: 2023-24 માં, તેઓએ 449 મિલિયન મેટ્રિક ટન (MMT) કાર્ગોનું સંચાલન કર્યું, જે ભારતના દરિયાઈ વેપારમાં નોંધપાત્ર યોગદાન આપે છે. જોકે, DPR થી સંપૂર્ણપણે કાર્યરત બંદર સુધી માર્ગ સ્વયંસંચાલિત નથી. આગળ અનેક પડકારો અને મહત્વપૂર્ણ પગલાં બાકી છે, વિગતવાર શક્યતા અને પર્યાવરણીય મંજૂરીઓ, પસંદ કરાયેલા સલાહકારે દરિયાકાંઠાના નિયમન જરૂરિયાતો, ડ્રેજિંગ જરૂરિયાતો, ઇકોલોજીકલ અસર, અંતરિયાળ વિસ્તાર કનેક્ટિવિટી અને સ્થળની યોગ્યતાનું મૂલ્યાંકન કરવું પડશે - આ બધામાં સમય લાગી શકે છે. ભૌગોલિક દ્રષ્ટિએ મહુવા બંદર શ્રેષ્ઠગુજરાતનો 1600 કિ.મી. લાંબો દરિયા કિનારો છે અને દરિયાઇ હબ તરીકેની તેની સ્થિતિ બંદર ક્ષમતાના વિસ્તરણને કુદરતી પ્રાથમિકતા બનાવે છે. સૌરાષ્ટ્ર દરિયાકાંઠે ભાવનગર જિલ્લામાં સ્થિત મહુવા, બંદર માટે સંભવિત અનુકૂળ સ્થાન પ્રદાન કરે છે. તેનો વિકાસ ગુજરાતના બિન-મુખ્ય બંદરોને કાર્યક્ષમ હબમાં વિકસાવવા અને અંતરિયાળ ઉદ્યોગો માટે કનેક્ટિવિટી સુધારવા માટે સક્ષમ બનાવવાના GMBના વ્યાપક દ્રષ્ટિકોણ સાથે સુસંગત છે. ભાસ્કર એક્સપર્ટવર્ષોથી મહુવા જીએમબીના રડાર ઉપર છેમહુવા વર્ષોથી GMBના રડાર પર છે. 2006ની શરૂઆતમાં, GMBએ દહેજ સાથે મહુવામાં બંદર અને સંલગ્ન માળખાકીય સુવિધાઓ વિકસાવવાનો પોતાનો ઇરાદો દર્શાવ્યો હતો. અગાઉના અભ્યાસોમાં મહુવાને ડીપ-ડ્રાફ્ટ પોર્ટ માટેના અનેક સંભવિત સ્થળોમાં ઓળખવામાં આવ્યુ હતુ. > નરેશભાઈ કોઠારી, વરીષ્ઠ શિપિંગ અગ્રણી સૌરાષ્ટ્ર સમાચાર નોલેજ GMBનું વિઝન: બંદરો અને દરિયાઈ ક્ષમતામાં વધારોમહુવા યોજના ગુજરાતના બિન-મુખ્ય બંદરોનું વિસ્તરણ, આધુનિકીકરણ કરવા માટે GMB દ્વારા કરવામાં આવેલા મોટા પ્રયાસના ભાગ રૂપે આવી છે. GMBના વિઝન 2047 ધ્યેયો અનુસાર, રાજ્ય બંદર ક્ષમતાઓ અને ક્ષમતાઓને વધારવા, ગ્રીન ફિલ્ડ બંદરો વિકસાવા, બંદરોને અપગ્રેડ કરવા, અંતરિયાળ વિસ્તારો (રોડ અને રેલ)માં સુધારો કરવા, આધુનિક ટેકનોલોજી અને પર્યાવરણને અનુકૂળ પ્રથાઓને એકીકૃત કરવાનો ઇરાદો ધરાવે છે. > રાજકુમાર બેનિવાલ, વાઇસ ચેરમેન, સીઇઓ, GMB
ભાવનગર જિલ્લા જેલમાં કાચા કામની સજા ભોગવી રહેલી કોન્સ્ટેબલ મહિલા કેદી પાસેથી મોબાઇલનું સિમકાર્ડ મળી આવતા ભાવનગર જિલ્લા જેલમાં ફરજ બજાવતા જેલરે મહિલા કેદી વિરૂદ્ધ જુદી જુદી કલમો હેઠળ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.ભાવનગર જિલ્લા જેલમાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવતા સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ રંગેહાથે ઝડપાઇ ગઇ હતી. ભાવનગર જિલ્લા જેલમાં સવારના સુમારે એક સરપ્રાઇઝ ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન એટ્રોસીટીના ગુનામાં કાચા કામના કેદી મહિલા કોન્સ્ટેબલ પાસેથી એક વી.આઇ. કંપનીનું સીમકાર્ડ મળી આવ્યું હતું. એક માસથી જિલ્લા જેલમાં એટ્રોસીટીના આરોપીને છાવરનાર મહિલા કોન્સ્ટેબલ નયના નાનજીભાઇ બારૈયા વિરૂદ્ધ અનેક કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી. જે બાદ મહિલા કોન્સ્ટેબલ નયના નાનજીભાઇ બારૈયાની ધરપકડ કરી, ભાવનગર જિલ્લા જેલમાં ધકેલવામાં આવી હતી. ત્યારે આજે જિલ્લા જેલના અધિકારી તેમજ જેલ સિપાઇ દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન મહિલા વિભાગની બેરેક નં. 02માં ચેકીંગ કરતા કાચા કામની કેદી નયના નાનજીભાઇ બારૈયા પાસેથી અનઅધિકૃત વી.આઇ. કંપનીનું મોબાઇલ સિમકાર્ડ મળી આવતા કેદી નયના બારૈયા વિરૂદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે મહિલા કેદીને અન્ય કેદીઓએ સિમકાર્ડ આપ્યું છે અથવા તો બહારના ક્યા વ્યક્તિ દ્વારા સિમકાર્ડ આપવામાં આવ્યું છે જે અંગે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરાશે.
મનપાની આવકમાં નોંધાઈ વૃદ્ધિ:શુક્રવારે એક દિવસમાં ઘરવેરાની આવક રૂ. 45.26 લાખને આંબી
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઘરવેરા વિભાગમાં આવકમાં સતત વૃદ્ધિ થઇ રહી છે. આ વર્ષે હાઉસટેક્સ માટે ભરપાઇ થયેલી કુલ આવક રૂપિયા 147.30 કરોડના આંકને આંબી ગઇ છે. તો છેલ્લાં એક માસમાં તંત્રને કુલ 6.43 કરોડના વેરાની આવક થઇ છે. તો આજે શુક્રવારુે એક જ દિવસમાં ઘરવેરાની આવક રૂ.45.26 લાખને આંબી ગઇ હતી. આજે ભાવનગર મહાનગરપાલિકામાં તા.12 ડિસેમ્બરે એક જ દિવસમાં કુલ 398 કરદાતાઓ દ્વારા કુલ 45.26 લાખનો મિલ્કત વેરો એક જ દિવસમાં ભરપાઈ કરવામાં આવતાં મહાનગરપાલિકાની ચાલુ નાણાકીય વર્ષની મિલ્કત વેરાની કુલ આવક 147.30 કરોડ થઇ ગઇ છે. માસ જપ્તીના પગલે ભાવનગર મહાનગપાલિકાની આવકમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. તા.10 નવેમ્બરથી શરૂ કરેલ માસ જપ્તીના પગલે એક મહિનામાં (તા.10 નવેમ્બરથી 12 ડિસેમ્બર સુધીમાં ) કુલ 3865 કરદાતાઓ દ્વારા કુલ 6.43 કરોડનો મિલ્કત વેરો ભરપાઈ કરેલ છે. ઘરવેરા વિભાગ દ્વારા વેરા માટે માસ જપ્તી ડ્રાઇવમાં કુલ 800થી પણ વધુ મિલકતોને સીલ કરવામાં આવેલ છે તેમ મહાનગરપાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા જણાવાયું છે.
પાલનપુરના ગઢ નજીકથી 181 અભયમની ટીમને અસ્થિર મગજની મહિલા મળી હતી. જેને સખીવન સ્ટોપ સેન્ટરમાં મુકાઇ હતી. જે માત્ર પોતાનું નામ જ બોલતી હતી. જેનો ફોટો સોશિયલ મીડિયામાં મુકતાં પરિવાર મળ્યો હતો. જેમની સાથે મિલન કરાવવામાં આવ્યું હતુ. મહિલા સુરક્ષા અને સેવા માટે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર, પાલનપુર દ્વારા રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના એક નાનકડા ગામની માનસિક અસ્થિર બહેનને દોઢ મહિના પછી તેમના પરિવાર સાથે મળાવી માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ અંગે કેન્દ્ર સંચાલક નીલોફરબેને જણાવ્યું હતુ કે, મહિલા ગઢ ગામ નજીક રસ્તે ભટકતી જોવા મળતાં એક જાગૃત નાગરિકે 181 મહિલા અભયમ ટીમને જાણ કરી હતી. મહિલા માનસિક અસ્થિરતા છતાં તેમની સુરક્ષા માટે ટીમે તેમને પાલનપુરના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે પહોંચાડ્યા હતા. અહીં સ્ટાફે તેમનું કાઉન્સેલિંગ કર્યું, પરંતુ તેઓ નામ સિવાય કંઈ કહી ન શકતા હોવાથી ઓળખ વિશે સ્પષ્ટ માહિતી મળી નહોતી.આથી મહિલાનો ફોટો આદિવાસી સમાજના ગ્રુપમાં મોકલતા પાંચ દિવસ પછી તેમના ઘરે અંગે માહિતી મળી હતી. સંપર્ક મળતા સખી સેન્ટર ટીમે મહિલાના ભાઈ સાથે વાત કરી તેમને પાલનપુર બોલાવી તેમને સુપ્રત કર્યા હતા. પતિના ત્રાસથી મહિલા અસ્થિર મગજની બનીરાજસ્થાનનો પરિવાર મહિલાને લેવા માટે પાલનપુર આવ્યો હતો. તેમણે જણાવ્યું હતુ કે, તેણી પરિણીત છે. જોકે, તેનો પતિ શારિરીક - માનસિક ત્રાસ ગુજારતો હોવાથી આઘાતના કારણે માનસિક અસ્થિર બની હતી.
ટેમ્પલ મેનેજમેન્ટ રિસર્ચ:રાજ્યમાં પ્રથમ વખત 132 મંદિરોનું વૈજ્ઞાનિક સંશોધન
ગુજરાતના મંદિરોના મેનેજમેન્ટ પર ભાવનગરના એમ.કે.બી. યુનિ.ના ઇ.સી. સભ્ય ડૉ. નિયતિ પંડ્યાએ ગુજરાતનું પ્રથમ સંશોધન પૂર્ણ કર્યું છે અનુે તેમાં 132 મંદિરોના અભ્યાસ દ્વારા મંદિર મેનેજમેન્ટના મોડલ પ્રસ્તુત કરી મંદિરોની ભીડ નિયંત્રણ, નાણાકીય પારદર્શિતા, વોલન્ટિયર સિસ્ટમ, સ્વચ્છતા, કચરા વ્યવસ્થાપન, પ્રસાદ વ્યવસ્થા, ડિજિટલ સેવાઓ અને સંસ્કૃતિક-શૈક્ષણિક ભૂમિકાઓ જેવી અનેક બાબતો પર પ્રથમવાર એકેડેમિક ફ્રેમવર્કથી સંશોધન કરીને પ્રકાશમાં લાવી છે. ડૉ. નિયતિ પંડ્યાનું કહેવું છે કે મંદિર માત્ર ધાર્મિક ભાવનાઓનું કેન્દ્ર નથી, તેઓ સમાજના નૈતિક અને સાંસ્કૃતિક વિકાસના આધારસ્તંભ છે. યોગ્ય વ્યવસ્થાપન દ્વારા મંદિરો સમાજસેવા, શિક્ષણ, ગૌસંવર્ધન, સંસ્કૃતિ સંરક્ષણ અને સમુદાય નેતૃત્વ આ પાંચેય ક્ષેત્રોમાં મોટી ભૂમિકા ભજવી શકે છે. મંદિરો સનાતન ધર્મ, ભારતીય સંસ્કૃતિ અને હિન્દૂ સમાજમાં કેન્દ્રસ્થાન ધરાવે છે, પરંતુ તેમનું વ્યવસ્થાપન કેટલું અસરકારક છે? વર્તમાન સમયમાં મંદિરો સમાજમાં કેટલી ભૂમિકા ભજવે છે? અને સમાજ સામે પ્રસ્તુત પડકારોનો સામનો કરવા માટે મંદિરની વધારે સક્રિય અને અસરકારક ભૂમિકા કેવી રીતે બનાવી શકાય? આવા અનેક મૂળભૂત પ્રશ્નોને સ્પર્શતું અનોખું સંશોધન ”Temple Management in Gujarat” ભાવનગરની સંશોધક ડૉ. નિયતિ વિક્રાંત પંડ્યા દ્વારા ડૉ. પરાગભાઈ સંઘાણીના માર્ગદર્શન હેઠળ પી. પી. સવાણી યુનિ.માંથી પૂર્ણ કરાયું છે. મંદિરો માટે નવું વૈજ્ઞાનિક મોડેલ દર્શાવ્યુંગુજરાતના મંદિરો માટે એક નવું અને વૈજ્ઞાનિક Integrated Temple Management Model (ITMM) એ ડૉ. નિયતિ પંડ્યાના આ અધ્યનનની ફળશ્રુતિ છે. જેમાં 7-S Strategic Framework અને 5-C Diagnostic Model બંનેનો સમાવેશ થાય છે. 7-S મોડલમંદિરોમાં સેવા, સ્વચ્છતા, સંસ્કાર, સમર્પણ, સહયોગ, સંરક્ષણ અને સાતત્ય જેવા સાંસ્કૃતિક મૂલ્યોને આધુનિક મેનેજમેન્ટ સાથે જોડે છે અને 5-C મોડલ Cleanliness, Crowd, Community, Character અને Culture જેવા માપી શકાય એવા પરિબળો દ્વારા મંદિરની કાર્યક્ષમતા અને ભક્તોના સંતોષનું મૂલ્યાંકન પણ કરે છે. સરકાર માટે આ મોડલ અત્યંત ઉપયોગી બની શકેસંશોધન મુજબ સરકાર માટે આ મોડલ અત્યંત ઉપયોગી બની શકે છે, કારણ કે રાજ્યના ઘણા મંદિરો સરકાર, યાત્રાધામ બોર્ડ અથવા વહીવટી તંત્રની દેખરેખ હેઠળ આવે છે. આ અભ્યાસ રાજ્યને સ્વચ્છ મંદીર ઇન્ડેક્સ , એકસરખાં SOPs, વોલન્ટિયર તાલીમ કાર્યક્રમો, ગૌશાળા અને પરંપરાગત પાઠશાળાઓ માટે ગ્રાન્ટ, અને ડિજિટલ દાન વ્યવસ્થા જેવા રાજ્યવ્યાપી સુધારણા કાર્યક્રમો બનાવવા માટે પ્રમાણ આધારિત માર્ગદર્શન આપે છે.
કૌભાંડનો પર્દાફાશ:પાલનપુર યાર્ડમાં ઓછા વજનની મગફળી ખરીદીમાં કૌભાંડનો ખેડૂતે જ પર્દાફાશ કર્યો
પાલનપુર માર્કેટ યાર્ડમાં જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવે થતી મગફળી ખરીદીમાં ફરી એકવાર ગેરરીતિઓ બહાર આવી છે. સેન્ટર નંબર 2 પર ખેડૂતોની મગફળી ‘ઓછા વજન’ના નામે રિજેક્ટ કરવામાં આવી રહી હતી, પરંતુ તપાસ કરતા બહાર આવ્યું કે સેન્ટર દ્વારા પોતે જ ઓછા વજનવાળી બોરીઓ ખરીદવામાં આવી રહી હતી. સરકાર દ્વારા બનાસકાંઠામાં ગુજકો-નાફેડ મારફતે મગફળી રૂપિયા 1452ના ટેકાના ભાવે ખરીદવામાં આવી રહી છે. પાલનપુર માર્કેટ યાર્ડના સેન્ટર 2 પર શુક્રવારે 7 ખેડૂતોને મગફળી ભરાવવાનો મેસેજ મોકલાયો હતો. જેમાંથી ત્રણ ખેડૂતોની મગફળી 35.800 કિલોગ્રામનાં માપદંડ કરતાં હલકી હોવાથી તેમની બોરીઓ રિજેક્ટ કરવામાં આવી. જે બાદ કુંભલમેર ગામના ખેડૂત કાંતિભાઈ હરિભાઈ પટેલની પણ મગફળી સ્વીકારવામાં આવી નહોતી. અનેક વિનંતી છતાં સેન્ટર સંચાલકે ઓછા વજનની મગફળી ખરીદી શકાશે નહીં એવું જણાવ્યું. આથી અચંબામાં પડેલા ખેડૂતે વિરોધ સ્વરૂપે સેન્ટરે ખરીદેલી અન્ય બોરીઓનું વજન કરાવ્યું તો તે બોરીઓ પણ નિયત માપદંડથી 5-6 કિલો ઓછી હોવાનું બહાર આવ્યું. ખેડૂતોએ તરત જ નાફેડના અધિકારીને સ્થળ પર બોલાવ્યા. અધિકારીની હાજરીમાં પણ ખરીદેલી બોરીઓમાં વજન ઓછું નીકળતા તેમણે ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ કરી સેન્ટર બંધ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી, ખેડૂતે વીડિયો ઉતાર્યો એટલેવજનમાં 6 કિલો કટિંગ જણાયુંખેડૂતે વીડિયો ઉતારી જવાબદાર અધિકારીની હાજરીમાં ચકાસણી કરી જુદી જુદી મગફળીની બોરીઓનું વજન કરાવ્યું હતું. મૂળ 38.500 કિગ્રા વજન હોવું જોઈએ ત્યારે હકીકતમાં 32.500 કિગ્રા જેટલું ઓછું નીકળ્યું. એટલે પ્રતિ બોરી 6 કિલો સુધીનું કટિંગ થતું હોવાનું જાણવા મળ્યું. ખેડૂતના ખુલાસા બાદ આ ગેરરીતિ બહાર આવી હતી.
કાર્યવાહી:માલપુરના કાટકૂવા ગામમાં ડુંગરની તળેટીમાંથી 2.56 લાખનો દારૂ પકડાયો
માલપુરના કાટકૂવામાં રહેણાંક મકાનની નજીક આવેલ ડુંગરની તળેટીમાં છૂપાવી રાખેલો રૂ.2.56 લાખનો વિદેશી દારૂનો જથ્થો માલપુર પોલીસે ઝડપી પોલીસે વોન્ટેડ આરોપી નિતીન મકવાણા સામે ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરી છે. માલપુર પોલીસ સ્ટેશનના પીઆઇ એઆઈ ચાવડાએ આપેલી સૂચનાના ભાગરૂપે સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહિબિશન વોચ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન સ્ટાફના હેડ કોન્સ્ટેબલ નવનીતભાઈ સવજીભાઈને ખાનગી માહિતી મળી હતી કે કાટકૂવા ગામમાં રહેતા નીતિનભાઈ ભલાભાઇ મકવાણા પોતાના રહેણાંક મકાનની પાસેની ડુંગરની તળેટીમાં ગેરકાયદે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હોવાની માહિતીના આધારે માલપુર પોલીસે અચાનક રેડ કરતાં ડુંગરની તળેટીમાં છુપાવી રાખેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂની બોટલ નંગ 1560 કિં.2,56,614નો વિદેશી દારૂનો જથ્થો કબજે લઈ વોન્ટેડ આરોપી નીતિનભાઈ ભલાભાઇ મકવાણા રહે. કાટકૂવા તા.માલપુર વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આવેદનપત્ર:સા.કાં.ના ખેડૂતોને ખાતરનો પુરવઠો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવો
સાબરકાંઠા જિલ્લા કિસાન સભાના આગેવાનોએ કલેક્ટર સાબરકાંઠા મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતરનો પુરવઠો મળી રહે તે માટેની માંગ કરી છે. ગુજરાત કિસાન સભા રાજ્યમંત્રી પરસોતમ પરમાર, સાબરકાંઠા જિલ્લા કિસાન સભાના પ્રમુખ સોનસિંહ મકવાણા, ઉપપ્રમુખ દિનેશ પરમાર, મંત્રી મોતીલાલ પરમારે જણાવ્યું કે કમોસમી માવઠાના લીધે ખેડૂતોનો પાક તદ્દન નિષ્ફળ ગયો છે. એવી સ્થિતિમાં શિયાળુ સિઝનમાં રાસાયણિક ખાતર મળતું નથી. હિંમતનગર,ગાંભોઈ, વિજયનગર, ખેડબ્રહ્મા સહિત આદિવાસી તાલુકાઓમાં ખાતર મેળવવા માટે લાંબી લાંબી લાઈનો લાગે છે. ઘણી જગ્યાએ ખાતર ઉપલબ્ધ નથી એવા બોર્ડ પણ મારેલા છે. ખેડૂતને પાંચની જરૂર હોય તો ફક્ત એક થેલી મળે છે અને યુરિયા સાથે નેનો બોટલ ફરજિયાત વળગાડે છે. ખેડૂતોને ખાતરના ભાવ સીધા ડબલ થઈ જાય છે. વધુમાં આદિવાસી વિસ્તારમાં ખેડૂતો પાસે મોબાઇલ હોતા નથી અને ખાતર મેળવવા માટે OTP આપવા પડે છે . વહીવટી તંત્રના પુરવઠો પૂરેપૂરો હોવાના દાવા પોકળ છે. હકીકતમાં ખેડૂતોને ખાતર મળતું નથી. પંદર દિવસ ખાતરના ધાંધિયા ચાલુ રહે તો ખેડૂતોની મુખ્ય સિઝન રવિ સિઝનનો પાક નિષ્ફળ જાય તેમ છે.
હિંમતનગર સજ્જડ બંધ રહ્યું:હુડાના સમર્થનમાં પાનના ગલ્લાં કે ચાની કિટલી પણ ના ખૂલી
હિંમતનગર શહેર અને આસપાસના 11 ગામમાં હોડા ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાંની સાથે ત્રણ મહિનાથી થઈ રહેલ લેખિત મૌખિક વિરોધ આંદોલનના તબક્કે પહોંચી ગયો છે ખેડૂતોની સંકલન સમિતિની એક અપીલ માત્રથી શુક્રવારે હિંમતનગર શહેરના તમામ વિસ્તારના બજાર હોલસેલ શાકમાર્કેટ, માર્કેટ યાર્ડ અને મોટા વ્યવસાયિક સંકુલોએ સ્વયંભૂ બંધ પાળી ખેડૂતોની સાથે હોવાનો સંદેશ આપી દીધો હતો. શહેરમાં પાનના ગલ્લાં કે ચાની કિટલી પણ ખૂલી ન હતી. દિવસ દરમિયાન કોઈ બંધ કરવા નીકળ્યું નથી કે ટોળાઓએ નીકળીને કોઈને ફરજ પાડ્યાનો બનાવ બન્યો નથી. સ્વયંભૂ બંધે અનેક અવધારણાઓને જન્મ આપી દીધો છે. બીજી બાજુ સંકલન સમિતિ દ્વારા રાજકીય આગેવાનોના નિવાસ્થાન ઓફિસના સ્થળ પર આગળ ધરણાં સહિતના ઉગ્ર કાર્યક્રમ યોજવાની રણનીતિ તૈયાર કરાઈ રહી છે. 11 ગામના ખેડૂતોની બનેલ સંકલન સમિતિએ 12 ડિસેમ્બર શુક્રવારે હિંમતનગર બંધનું એલાન આપી વેપારીઓને અપીલ કર્યા બાદ તમામ વ્યાપારિક સંકુલો શાળાઓ માર્કેટ યાર્ડ શાકમાર્કેટ ચાની કિટલીઓ, પાનના ગલ્લાં, ખાણી પીણીના સ્થળ બધું જ સ્વયંભૂ બંધ રહ્યું હતું. બપોર પછી પણ ભૂતકાળની જેમ એક પણ દુકાનનું શટર ખૂલ્યું ન હતું. સ્વયંભૂ ચક્કાજામ બંધને લઈ અનેક રાજકીય અવધારણાઓની ચર્ચાઓએ જોર પકડ્યું છે. હિંમતનગરને અડીને આવેલ કાંકણોલ હડિયોલ સવગઢ પરબડા પંથકના તમામ વ્યાપારીઓએ પણ બંધને સમર્થન આપી હુડા સંકલન સમિતિના પડખે ઉભા રહ્યા હતા. 12 ડિસેમ્બરનું એલાન સફળ રહ્યા બાદ ભાજપ સંગઠન અને સરકારમાં કેવા પ્રત્યાઘાત પડે છે તે તરફ મીટ મંડાઇ છે. કારણ કે નવા વર્ષમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત હિંમતનગર પાલિકાની ચૂંટણીઓ આ મતવિસ્તારમાં યોજાવાની છે. હિંમતનગર | બહારથી આવતાં ખેડૂતોને હિંમતનગર બંધના એલાનની અને માર્કેટયાર્ડ પણ બંધ રહેનાર હોવાની જાણ ન રહેતા માર્કેટ યાર્ડના દરવાજા બંધ હોવાથી ખેડતસીયા રોડ પર માર્કેટયાર્ડ આગળ 40 થી વધુ વાહનોની લાંબી કતાર લાગી હતી. હુડા સંકલન સમિતિના ઉત્સવ પટેલે જણાવ્યું કે સૌ કોઈનો સહકાર અને લાગણીનો અનુભવ થયો છે. આગામી સમયમાં રાજકીય આગેવાનોના રહેઠાણ અને ઓફિસ આગળ ધરણાં યોજાશે. અન્ય લડત માટે રણનીતિ ઘડવા શનિવારે સંકલન સમિતિની બેઠક યોજાનાર છે.
શહેરમાં આવેલા 16 પોલીસ મથક અને સાયબર ક્રાઇમમાં એક જ દિવસમાં 26 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઇ છે. 26 ફરિયાદોમાં કુલ રૂ.1.66 કરોડનું ફ્રોડ થયુ હતું. અડાજણના યોગીપાર્ક સોસાયટીમાં રહેતા હેમેન્દ્ર પરમાનંદ લિંબાચીયા છેલ્લા સાત વર્ષથી શેર માર્કેટમાં ટ્રેડિંગ કરે છે. જુન 2025માં સોશિયલ મીડિયામાં પર જાહેરત જોઇને તેઓ Y811 360 ONE STUDY CIRCLE નામના ગ્રુપમાં જોડાયા હતા. આ ગ્રુપના એડમિન આરોહી પટેલ અને કરન ભગત હતા. ગ્રુપમાં શેર ની ટિપ્સ તેમજ NSE-BSEની વેબસાઇટ્સના ભાવો સાથે તુલના દર્શાવવામાં આવતી હતી. 15 દિવસ સુધી ગ્રુપનું અવલોકન કર્યા બાદ હેમેન્દ્રએ તેમની સાથે શેરનું કામ શરૂ કરતા આરોહી પટેલે 360 ONE નામની એપ્લિકેશનની લિંક મોકલી આધાર કાર્ડ અપલોડ કરાવીને યુઝરનેમ-પાસવર્ડ બનાવડાવ્યા હતા. એપમાં બેંક એકાઉન્ટની વિગતો આપીને રોકાણ માટેના પૈસા જમા કરાવવાનું કહેતા હેમેન્દ્રએ આ એપના એકાઉન્ટમાં તા. 02/07/2025ના રોજ કુલ રૂ. 43,35,000 જમા કરાવ્યા હતા.બાદમાં તેના દિકરા વિશાલને પણ આ ગ્રુપમાં જોડાવીને એપ મારફતે બનાવેલા એકાઉન્ટમાં રૂ 58,27,000 જમા કરાવ્યા હતા. આ ઠગ ટોળકીએ સારો નફો બતાવીને હેમેન્દ્રના એકાઉન્ટમાં રૂ. 3,18,01,031 અને વિશાલના એકાઉન્ટમાં રૂ. 2,12,57,703 જમા રકમ બતાવતી હતી અને વધુ રોકાણ કરવા જણાવ્યું હતું. પછી વિડ્રો કરવા દીધા ન હતા. અન્ય એક બનાવમાં શેરબજારમાં અઠવાડિયામાં 100 ટકા નફોની લાલચ આપીને ટ્રાન્સપોર્ટર સાથે 8.34 લાખની ઠગાઈ કરવામાં આવી છે. જેમાં ભેસ્તાન વણકલાના વૈષ્ણોદેવી સ્કાયમાં રહેતા ટ્રાન્સપોર્ટર વિજિગીષુ મધુસુદન પટેલે 2 ઓગસ્ટ 2024 તેમના વોટ્સઅપ મેસેજમાં પોતાનું નામ રકુલ પ્રીત જણાવીને સ્ટોકમાં રોકાણ કરીને મોટા નફાની લાલચ આપવામાં આવી હતી. ઠગાઈના 26 કેસ કેસ-1 : કાદરશાહની નાળમાં રહેતા મોહમદ ઇમરાન અબ્દુલ કરીમે રૂ. 4 હજારમાં બેંક ખાતું ભાડે રાખી ઠગાઈ કરી. કેસ-2 : સંજયભાઈ બાબુભાઈ પટેલ (રહે. લોક રેસીડન્સી, મોટા વરાછા)એ ડોક્યુમેન્ટ મેળવી બેંક એકાઉન્ટ ખોલી ફ્રોડ કર્યું હતું. કેસ-3 : ભાઠેના એકાઉન્ટન્ટ સુરેશ તારાચંદ ભોજક સાથે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ બહાને 12.74 લાખની ઠગાઇ. કેસ-4 : પ્રોફેસર હેમંતકુમાર પટેલ સાથે શેરમાર્કેટમાં રોકાણ બહાને 24.42 લાખની ઠગાઇ. કેસ-5 : ડ્રાઈવર વિનાયક શાલિક વારે સાથે ૩ લાખની ઠગાઇ કેસ-6 : એમ્બ્રોડરી મશીન ઓપરેટર અનિલ લાલચંદ સોની સાથે 93 હજારની ઠગાઇ કેસ-7 : બિલ્ડરોના બેંક ખાતાના ઍક્સેસ મેળવી ૨ લાખની ઠગાઈ કેસ-8 : ડાઇંગ માસ્ટરને સુનીલ રાજભર સાથ 99 હજારની ઠગાઈ કેસ-9 : શિક્ષિકા રવિના દુસેજા સાથે રૂપિયા 1.75 લાખની ઠગાઈ કેસ-10 : વિનય જીનવાલા સાથે રૂપિયા 8 હજાર ઠગાઈ કેસ-11 : કેફે માલિક તુષાર સેજલીયા સાથે 14 હજારની ઠગાઇ કેસ-12 : દરજી ધવલ કાચવાઉ સાથે 30 હજારની ઠગાઇ કેસ-13 : રોકાણના નામે હંસાબેન સાથે 1.30 લાખની ઠગાઇ કેસ-14 : વિદ્યાર્થી અમિષ વડોદરીયા સાથે 92 હજારની ઠગાઇ કેસ-15 : મિલન રાદડીયાને ડિઝીટલ એરેસ્ટ કરી 90 હજાર પડાવાયા કેસ-16 : આર્કિટેક્ચર ગૌરાંગ ગાયકવાડ સાથે 1 લાખની ઠગાઈ આવી જ રીતે અન્ય 10 લાખો સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરાઈ હતી.
રક્તદાન કેન્દ્રના રક્તદાન સેવામાં 50 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે ત્યારે બ્લડ ટેસ્ટ માટે એક કરોડના ખર્ચે જર્મન કંપનીનું નવું ઓટોમેટીક નેટ ટેસ્ટિંગ મશીન લોન્ચ કરાયું હતું. સંસ્થાના આગેવાનોએ જણાવ્યું હતું નવું ઓટોમેટીક મશીન આવવાથી બધા જ યુનિટોનું ટેસ્ટ ઓટોમેટીક થશે. અત્યાર સુધી મેન્યુઅલ કામ થતું હોવાથી કોઈ વખત હ્યુમન એરરની સંભાવના રહેતી હોય છે અથવા તો તેમાં સમય વધારે લાગતો પરંતુ હવે ઝડપી અને સંપૂર્ણપણે ઓટોમેટીક ટેસ્ટ થઈને બ્લડ આપવામાં આવશે. પહેલા રક્તદાન કરેલ રકતમાં Hiv, Hep-c, Hep-Bના સેલ છે કે નહીં તેના ટેસ્ટ માટે સમય લાગતો પરંતુ હવે આ મશીનમાં તરત જ ખ્યાલ આવી જશે.
અનુબંધ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા સુરતમાં 20 ડિસેમ્બરે બપોરે 12 કલાકે બદ્રીનારાયણ મંદિર હોલ બાપ્સ હોસ્પિટલની બાજુમાં અડાજણ ખાતે 50થી 80 વર્ષ સુધીની ઉંમરના કુંવારા, ડિવોર્સી, વિધવા વિધુર માટે જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર નિ:શુલ્ક જીવન સાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાના પ્રમુખ નટુભાઈ પટેલે જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં સમગ્ર ભારતના જુદા જુદા શહેરોમાં 91 સંમેલનો કરાયા છે જેમાં 16815 બાયોડેટા પ્રાપ્ત થયા છે. 50 વર્ષથી વધારે ઉંંમરના 220 વ્યક્તિને પરણાવ્યા છે. સુરત અડાજણ ખાતે યોજાનાર સંમેલનમાં ભાગ લેવા ઈચ્છતા 50થી 80 વર્ષની વયના ભારતના કોઈપણ રાજ્યના કોઈપણ જ્ઞાતિના કે ધર્મના ભાઈઓ અથવા બહેનો ભાગ લઈ શકે છે. ડિવોર્સી અથવા વિધવા, વિધુર ઉમેદવારોએ એક ફોટો, આધાર કાર્ડ, ડિવોર્સ પેપર, પતિ અથવા પત્નીના મરણનું સર્ટિફિકેટ સાથે લાવવું. દૂરથી આવનાર સ્ત્રી ઉમેદવારો માટે રાત્રિ રોકાણની, જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવારોએ 12 વાગ્યે સ્થળ પર રજીસ્ટ્રેશન કરાવવુંપસંદગી સંમેલનમાં બપોરે 12થી 1 દરમિયાન રજીસ્ટ્રેશન 1થી 1.30 ઉદ્ઘાટન સમારોહ,1.30થી 3.30પાત્ર પરિચય અને 3:30થી 6 વાગ્યા સુધી પર્સનલ મીટીંગ થશે. ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારોએ નટુભાઈ પટેલ 8320372264, વાસુદેવભાઈ પટેલ, 8238600999નો સંપર્ક કરવા જણાવ્યું હતું.
ભાસ્કર શીખ:પ્રાંતિજમાં મોટા બાપાના દીકરાએ ઠગાઇના 5.40 લાખ ખાતામાં નખાવી ઉપાડી લીધા
પ્રાંતિજના કરોલમાં રહેતા યુવકના મોટા બાપના દીકરા અને તેના મિત્રએ જમીન દલાલીના કામે બીજી પાર્ટી પાસેથી લેવાના થતાં પૈસા છેતરપિંડી કરી મેળવેલ હોઇ તે નાણાં તેના ખાતામાં જમા કરાવી ઉપડાવી લીધા બાદ બંને જણાંની છેતરપિંડી પકડાયા બાદ પોલીસ તપાસમાં આવતાં યુવકે બંને જણા વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કરોલના 22 વર્ષીય યુવક પાર્થકુમાર પ્રવિણભાઈ પટેલના બેન્ક ઓફ બરોડાના ઘડકણ શાખાના ખાતામાં તા.1-03-25 તથા તા.3-03-25ના રોજ થયેલ નાણાંકીય લેવડ દેવડ બાબતે પોલીસ પૂછપરછ અર્થે આવતાં પાર્થકુમારે આ નાણાંકીય લેવડ દેવડ મોટા બાપાના દીકરા કૌશિકકુમાર જશુભાઇ પટેલ (રહે.કરોલ તા.પ્રાંતિજ) તથા તેમના ઓળખીતા (પંકજભાઇ પટેલ રહે.રાયસણ તા.ગાંધીનગર)એ જમીન દલાલીના કામે બીજી પાર્ટી પાસેથી લેવાના થતાં પૈસા ખાતામાં નખાવવા બાબતે વાત કરી હતી. કૌશિકભાઈ અગાઉ રાયસણ ખાતે રહેતા હોઇ અવર જવર દરમ્યાન પંકજભાઈ સાથે પરિચય થયો હતો. જેથી બેન્ક ખાતામાં પૈસા જમા થયા બાદ કૌશિકભાઈ તથા પંકજભાઈના કહેવાથી જમીન દલાલીથી આવેલા સમજીને આ પૈસા કૌશિકભાઇ તથા પંકજભાઇ સાથે બેન્કમાં જઇ ચેકથી ઉપાડી આ રકમ રૂ.1.5 લાખ તથા રૂ.3.90 લાખ મળી કુલ રૂ.5.40 લાખ રોકડા કૌશિકભાઇ મારફતે પંકજભાઇને આપ્યા હતા. આ નાણાં છેતરપિંડીથી બંને જણાએ મેળવી ખોટી વિગતો જણાવી વિશ્વાસઘાત કર્યો હોવા અંગે પાર્થકુમારે બંને જણાં વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બેંક ખાતાની છેતરપિંડીથી બચવા માટે આ ધ્યાન રાખવું
હોમિયોપેથી સારવાર કેમ્પ યોજાયો:‘હોપ ફોર હોપલેસ’ મહાનિદાન હોમિયોપેથી સારવાર કેમ્પ યોજાયો
હોમિયોપેથીએ 175 બાળકો માટે આશાનું નવું દ્વાર ખોલ્યું છે. જન્મજાત ખોડખાંપણ અને માનસિક દિવ્યાંગતા ધરાવતા બાળકો માટે પ્રીત હોમિયોપેથી ક્લિનિકના સંયુક્ત ઉપક્રમે ‘હોપ ફોર હોપલે’સ મહાનિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. બ્લુ ચિપ કોમ્પલેક્ષ સેવાશ્રમ રોડ ભરૂચ ખાતે કેમ્પમાં 175 થી વધુ ‘સ્પેશિયલ ચિલ્ડ્રન’ (દિવ્યાંગ બાળકો)ની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી હતી. આજના યુગમાં જ્યારે સારવાર મોંઘી બની રહી છે, ત્યારે સમાજના એવા વર્ગ માટે કે જેમના બાળકો સેરેબ્રલ પાલ્સી, ઓટિઝમ, ડાઉન સિન્ડ્રોમ કે મંદબુદ્ધિ જેવી ગંભીર સમસ્યાઓથી પિડાય છે, તેમના માટે આ કેમ્પ એક આશીર્વાદ સમાન સાબિત થયો.હતો.
રસ્તામાં અડચણરૂપ દબાણો હટાવાયા:પાલમાં ગેરકાયદે બાંધકામને તોડી 50 હજાર દંડ વસૂલાયો
પાલ વિસ્તારમાં ફાઈનલ પ્લોટ નં. 125 અને 126 પર મિલ્કતદારોએ મહાપાલિકાની મંજૂરી વિના કરાયેલા અનધિકૃત બાંધકામ સામે રાંદેર ઝોને ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરી હતી. વારંવાર નોટિસ આપવા છતાં અનધિકૃત બાંધકામ દૂર ન કરાતા વહીવટી ચાર્જ 50હજાર પણ વસૂલ કરવામાં આવ્યો છે. ઉપરાંત હોટેલ પાર્ક ઈન રેડિસનથી રાજહંસ કેમ્પસ ચાર રસ્તા વીર અરિસ્તા સામે, સોમચિંતામણી, રાજહંસ સિનેમા ટી-પોઈન્ટથી પાલ-ઉમરા બ્રિજ તથા પાલ આર.ટી.ઓ. વાળા રસ્તા પર, ધનમોરા કોમ્પ્લેક્સથી શીતલ ચાર રસ્તા સુધીના રસ્તા પરથી લારીઓના દબાણો, પાથરણા, ફેરિયાઓના દબાણો તથા બોર્ડ/બેનરોને દૂર કરીને તમામ સામાન જપ્ત કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી આ વ્યસ્ત રસ્તા પર પગપાળા અને વાહનચાલકોને ટ્રાફિકથી રાહત મળી છે. ગેલેરિયા બિઝનેસ હબ, અડાજણ ગામ તરફના રસ્તા ઉપર તથા પાલ-ઉમરા બ્રિજ વાળા રસ્તા પરના કાચા-પાકા દબાણો અને ઝૂંપડાઓને દૂર કરવામાં આવ્યા હતા.
નોકરી ન્યૂઝ:IMA, INA, AFA અને OTAમાં જોડાવા ભરતી શરૂ
દેશની સશસ્ત્ર સેનામાં ઓફિસર તરીકે ગૌરવપૂર્ણ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ સંયુક્ત સંરક્ષણ સેવા પરીક્ષા (CDS-I)2026 માટેની જાહેરાત બહાર પાડી છે. આ ભરતી દ્વારા ઇન્ડિયન મિલિટરી એકેડમી (IMA), નેવલ એકેડમી (INA), એરફોર્સ એકેડમી (AFA) અને ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી (OTA) માટે કુલ 451 જગ્યાઓ ભરવામાં આવશે. ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને ઉમેદવારો 30 ડિસેમ્બર, 2025ના સાંજના 6 વાગ્યા સુધી અરજી કરી શકશે. માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક (ડિગ્રી) થયેલા અને કોર્સ મુજબ 19 થી 24 વર્ષની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. સ્નાતક (ડિગ્રી) થયેલા અને કોર્સ મુજબ 19 થી 24 વર્ષની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મુખ્ય જાહેર પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીઓ ચોરી કરવામાં કોઈ કસર છોડતા નથી. વિદ્યાર્થીઓએ હવે કોપી કરવાની પદ્ધતિમાં નવીનતા લાવતા હાથ અને પાઉચને જ ચોરીનું સાધન બનાવી દીધી છે. માલપ્રેક્ટિસ ઇન્કવાયરી કમિટી (MPEC) સમક્ષ ચોંકાવનારા કિસ્સાઓ આવ્યા છે. આ ગેરરીતિ બદલ યુનિવર્સિટીએ હાથ અને પાઉચ પર લખાણ સાથે ઝડપાયેલા વિદ્યાર્થીઓને જે તે વિષયોમાં 0 માર્ક્સ આપવા સાથે સાથે રૂ. 2,500ની પેનલ્ટી કરી છે. સુધારવા કાઉન્સલિંગ પણ કરાયુંવિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષામાં ગેરરીતિ નહીં કરે તે માટે એક્સપર્ટોથી કાઉન્સિલિંગ કરી ભાગવત ગીતા અપાઈ હતી.
સુરતના કાર્યક્રમ બાદ પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા નીતિન ભજીયાવાલાના માતૃશ્રીના તાજેતરમાં થયેલા નિધનને પગલે તેમના નિવાસ સ્થાને ત્યારબાદ પૂર્વ શહેર પ્રમુખ અને રાજયસભાના પૂર્વ સાંસદ સ્વ.પ્રવીણ નાયકના નિવાસ સ્થાને પહોચ્યા હતા. દરમિયાન પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માની સાથે શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ, ધારાસભ્ય પૂર્ણેશ મોદી અને વિનુ મોરડીયા પણ જોડાયા હતાં. ભજીયાવાલા અને સ્વ. પ્રવીણ નાયકના નિવાસ સ્થાને પ્રદેશ ભાજપ પ્રમુખની મુલાકાત ફકત સામાજિક કારણોસર જ હતી. પરંતુ સાથે પૂર્ણેશ મોદી, વિનુ મોરડિયા પણ જાડાયા હોય શહેરના રાજકારણમાં અચાનક વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે. જગદીશ વિશ્વકર્માના ‘ઓલ્ડ ઇઝ ગોલ્ડ કાર્ડ’થી સુરતના રાજકારણમાં ગરમાટો આવ્યો હોવાનું જણાયું છે.
ભાસ્કર એક્સપર્ટ:વેન્ટિલેશન બ્લોક હતું એટલે દીવાલો ફાટી, I-બીમ વળ્યા, સ્લેબમાં તિરાડ
ગોડાદરાની રાજ ટેક્સટાઇલ માર્કેટની આગમાં 7મો માળ 12 કલાક અગનજ્વાળા અને 500થી 700 ડિગ્રી તાપમાન વચ્ચે જાણે ભઠ્ઠી બની ગયો હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. 7મા માળનું સ્ટ્રક્ચર સંપૂર્ણપણે ખખડી ગયું છે. દીવાલો ફાટી ગઈ છે, સ્લેબમાં તિરાડો પડી છે, લોખંડની એન્ગલો વળી ગઈ છે. અહીં 14 દુકાનો તથા પેસેજ પેક કરીને ગોડાઉન બનાવી ઠસોઠસ પોટલાં ભરી દેવાતાં દુર્ઘટના સમયે પાણી તો ઠીક હવા પણ જઈ શકે તેવી સ્થિતિ ન હતી, જેથી ટેક્નિકલ અભિપ્રાય વિના હાલમાં આ માળ પર કોઈને પ્રવેશ આપી શકાય એમ નથી. પહેલા, ત્રીજા અને પાંચમા માળે આગ ઝડપથી કાબૂમાં આવી ગઈ હતી, પરંતુ 7મા માળે 12 કલાક લાગ્યા હતા. આ આગથી બાંધકામની કાયદેસરતા તથા નીતિ-નિયમોની સમીક્ષા થવી જરૂરી છે. ખાસ કરીને 7મા માળે આગ બાદની સ્થિતિનું નિરિક્ષણ કરીને ટેકનિકલ વિશ્લેષણ કર્યું તો ચોંકાવનારાં તારણો મળ્યાં હતાં. જેથી હાલની સ્થિતિમાં આ માળ માળખાગત રીતે સંપૂર્ણપણે અસુરક્ષિત છે. (મોઇન શેખ સાથે થયેલી વાતચીત મુજબ) > ભાસ્કર એક્સપર્ટ : ડો. પંકજ ગાંધી, SVNIT રિસર્ચફેલો, સેફ્ટી એન્જિનિયર, અર્બન પ્લાનર, સેપ્ટ અમદાવાદ ગરમી-ધુમાડો બહાર જવા જગ્યા જ ન હતી એટલે તાપમાન વધ્યું RCC મૂળ ડિઝાઇન મુજબ લોડ સહન કરવા સક્ષમ રહ્યું નથીડો. ગાંધીએ કહ્યું કે, ‘બીમ, કૉલમ, સ્લેબ પર સૂટ ડિપોઝિટ સ્પષ્ટ દેખાય છે. કોંક્રિટ સ્પેલિંગ અને રિબાર એક્સપોઝર, હીટથી દીવાલો તૂટી ગઈ છે અને સ્લેબની અંદર ડિલેમિનેશન થઈ ગયું છે. આ બધું બતાવે છે કે, આગ દરમિયાન તાપમાન 500થી 700 ડિગ્રી હોય શકે છે. RCCના ભાગો મૂળ ડિઝાઇન મુજબ લોડ સહન કરવા સક્ષમ રહ્યા નથી. કૉરિડોર સુધી કાપડનું સ્ટોરેજ, બહાર નીકળવાના રસ્તા પણ બ્લૉક કરી દેવાયા હતા. ધુમાડો બહાર જવાની કોઈ જગ્યા જ બચી ન હતી એટલે તાપમાન વધ્યું હોય શકે છે. અંદર 2થી 3 મીટર ઊંચા ફેબ્રિકના ઢગલા હતા, જેમણે પેટ્રોલની ગરજ સારી હતી. ટેક્સટાઇલ ફાયર લોડ સામાન્ય બિલ્ડિંગ કરતાં 10 ગણું વધારે (3500–4500 MJ/m) હોય છે, જેથી આગ અસાધારણ રીતે ઝડપથી ફેલાઇ હતી. આગના 12 કલાકમાં આખું સ્ટ્રક્ચર વિખેરાઈ ગયું હતું. લોડ પાથ પણ તૂટી ગયો છે અને RCCના ભાગો બેન્ડ વળી ગયા છે. હવે રિબારને કાટ લાગવાનો ખતરો છે, જેથી યોગ્ય તપાસ કરવા પહેલાં કોઈ પણ નિર્ણય લેવો જોખમી છે.’ અંતિમ નિર્ણય પહેલાં આ TEST જરૂરીNDT ટેસ્ટ : 1. રીબાઉન્ડ હેમર 2. UPV 3. ઇન્ફ્રારેડ થર્મોગ્રાફીસેમિ–ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ : 1. કોર કટિંગ 2. રિબાર વ્યાસ નુકશાન 3. કાર્બોનેશન ટેસ્ટસ્ટ્રક્ચરલ મેપિંગ : 1. ક્રેક મેપિંગ 2. સ્પેલિંગ એરિયા 3. લોડ પાથ વેરિફિકેશન
લોકોને રાહતની શક્યતા:મોરબીમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા વધુ 13 પોલીસ કર્મચારીને જવાબદારી સોંપાઈ
ઔદ્યોગિક નગરી મોરબીમાં હવે ટ્રાફિક સમસ્યા એટલી બધી વધી ગઈ છે કે, લોકો માટે માર્ગો ઉપર માત્ર થોડી ઝડપ કે સરળતાથી નીકળવું ખૂબ જ મુશ્કેલ જ નહીં કઠિન છે. એટલે કાચબા ગતિએ નીકળવા સિવાય કોઈ વિકલ્પ નથી. ટ્રાફિકમાં સ્ટાફની કમી છે. એટલે હયાત સ્ટાફ પર ભારણ વધુ છે. આથી ટ્રાફિકની સમસ્યા હલ કરવા એસપીએ 13 પોલીસ કર્મીઓને ટ્રાફિકની કમાન સોંપી છે. જેમાં હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા એએસઆઈ કમલેશભાઈ ગરાસીયા, અશોકભાઈ ચૌધરી, વનરાજસિંહ બાબરીયા, હેડ કોન્સ્ટેબલ ચકુભાઈ કરોતરા, સમરથસિંહ ઝાલા, યોગેશભાઈ સગર, જોરૂભા રાઠોડ, સંજયભાઈ મૈયડ તેમજ કોન્સ્ટેબલ વિપુલકુમાર ડાંગર, લલિતકુમાર પરમાર, રવિભાઈ કીડીયા, ઇકબાલભાઈ સુમરા, તેજપાલસિંહ ઝાલાની ટ્રાફિક શાખામાં બદલી કરાઈ છે. હાલના સ્ટાફ અનેટ્રાફિક પોઇન્ટની સ્થિતિમોરબીમાં ટ્રાફિકના 36 માંથી 20 પોઇન્ટ ઉપર ટ્રાફિક શાખા પાસે 55ની બદલે 36 પોલીસ કર્મીઓનો સ્ટાફ હોય પણ એમાંથી હાલ 20 પોલીસ કર્મીઓ ટ્રાફિકનું સંચાલન કરે છે. અન્ય ચેકીંગ સહિતની કામગીરીમાં રોકાયેલા હોય છે.આથી ટ્રાફિક શાખામાં સ્ટાફની ઘટ દૂર એસપીએ પોલીસ હેડક્વાર્ટરના 16 જેટલા પોલીસ કર્મીઓની ટ્રાફિક શાખામાં એકસાથે બદલી કરી છે. હવે જોવાનું એ રહે છે કે, એસપીનો ટ્રાફિકમાં સ્ટાફની ઘટ દૂર કરવાથી સમસ્યા હલ કરવાનો હેતુ સિદ્ધ થાય છે કે નહીં ? એસપીની નિગરાની હેઠળ સંચાલનથાય તો જ ટ્રાફિક સમસ્યા હળવી થાયશહેરમાં ટ્રાફિક સમસ્યા ઘણા સમયથી છે. એમાં ઘણા બધા કારણો છે. જેમ કે ટ્રાફિક નિયમોનો અભાવ, મનપા અને પોલીસ વચ્ચે કોઈ તાલમેલ જ નહીં, પાર્કિગ પણ નહીં અને ટ્રાફિક સેન્સનો અભાવ એ સૌથી મોટું કારણ છે. હાલ જે એસપીએ 13 કર્મીઓને ટ્રાફિકમાં મુક્યા એ તમામ ટ્રાફિક પોઇન્ટ ઉપર પોલીસ તેમજ વોર્ડન યોગ્ય રીતે ટ્રાફિકનું પાલન કરાવે છે કે નહીં ? તે સહિતના ટ્રાફિકના નિયમોનું પાલન થાય છે કે નહીં તેનું કોઈ નિર્દર્શન કરતું નથી. સ્ટાફ ફળવવાથી ટ્રાફિક સમસ્યા હલ નહિ થાય, એટલે સ્ટાફ અને ટ્રાફિકનું કડક અનુશાસન થાય એ માટે એસપીની સીધી નિગરાની જરૂરી છે. બીજું કે ટ્રાફિક વોર્ડનને પગાર ચૂકવતા અમારા જિલ્લા ટ્રાફિક ટ્રસ્ટની લાંબા સમયથી બેઠક જ બોલાવી નથી. આ બેઠક બોલાવે તો તેમાંથી કઈક નિષ્કર્ષ નીકળે. > સતીશભાઈ કાનાબાર જિલ્લા ટ્રાફિક ટ્રસ્ટના ટ્રસ્ટી
મોરબીના વતની 9-12ના રોજ ગણેશ પરમાર આર્મીમાં ફરજ બજાવા માટે બપોરે પત્ની સાથે ભોજન લઇને ફરજ પર ગયાં સાંજે પત્નીને ગણેશ પરમાર શહીદ થયાનાં સમાચાર મળ્યા હતા. ત્યારબાદ શહીદની અંતિમ ક્રિયા માટે ગુરુવારે વતનમાં મોરબી ખાતે લાવ્યા હતા. સોનાપુરી સ્મશાન ખાતે આર્મીના ગાર્ડ ઓફ ઓનર સાથે તેમની અંતિમવિધિ કરાઇ હતી. ગણેશભાઈના લગ્ન ત્રણ વર્ષ પહેલા સંગીતાબેન સાથે થયા હતા તેમને સંતાન ન હતું પણ હાલ સારા દિવસો ચાલી રહ્યા હતા અને તેમના ગર્ભમાં ૨ માસનું બાળક ઉછરી રહ્યું હતું જો કે આ બાળક દુનિયામાં આવે તે પહેલા જ ગણેશભાઈની વિદાય થતા પરીવાર શોકમગ્ન બની ગયો છે મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલ સભારાની વાડીમાં રહેતા હતા તેઓ વર્ષ 2009માં આર્મીમાં જોડાયા હતા. હાલમાં તેઓ મહારાષ્ટ્ર ખાતેના અહલ્યાબાઈ ટ્રેનિંગ કેમ્પમાં ફરજ બજાવતા હતા ગત 9 ડિસેમ્બરના રોજ તેઓ ફરજ પર શહીદ થયા હતા પરીવાર પાસેથી મળતી માહિતી મુજબ ગણેશ પરમાર ત્રણ ચાર મહિનાઓ બાદ નિવૃત્ત થવાનાં હતાં અને તેમની પત્ની સંગીતા હાલમાં બે મહિનાની ગર્ભવતી છેે. શહીદ વીર ગણેશ પરમારના 3 વર્ષ અગાઉ જ લગ્ન થયાં હતા અને પત્ની સાથે જ તેઓ મહારાષ્ટ્ર અહલ્યાબાઈ ટ્રેનીગ સેન્ટર ખાતે રહેતા હતા અને લગ્નનાં ત્રણ વર્ષ બાદ તેમનાં પરીવારમાં સંતાનની ખુશી પ્રાપ્ત થવાની હતી. દંપતીએ તેમના આવનારા સંતાન માટે અનેક સપના જોયા હતા. આવતા વર્ષે એક સાથે બે ખુશી મળવાની હતી પરંતુ... 2026માં તેઓ રીટાયર્ડ થવાના હોય જેથી એક સાથે બે ખુશીની સમગ્ર પરિવાર રાહ જોઈ રહ્યો હતો પરંતુ સંતાન દુનિયામાં આવે તે પહેલાં જ ગણેશભાઈ શહીદ થતાં પરિવારે ઘરનો મોભી ગુમાવી દીધો છે. શહીદ ગણેશનાં પરીવારમાં ગણેશ સિવાય એક અપરણિત ભાઈ અને એક બહેન અપરણિત છે જ્યારે બે બહેનો સાસરે તેમજ માતા અને પિતા છે જ્યારે પિતાને પેરાલિસિસ છે વધુમાં એક ઘરડાં માં છે એટલે કે 7 જણાનો પરીવાર છે અને ગણેશનાં નાના ભાઈ મહેશે લારી શરૂ કરી છે અને આર્થિક પરિસ્થિતિ ખરાબ છે. અજય લોરિયાએ પરિવારને 1 લાખની મદદ કરીમોરબીના વતની અને ભારતીય સેનામાં જવાન તરીકે ફરજ બજાવતા અને મહારાષ્ટ્ર ખાતે ફરજ દરમિયાન શહીદ થયેલા ગણેશભાઈ પરમારની અંતિમ યાત્રામાં લોકો જોડાયા હતા, આ સાથે યાત્રામાં જોડાયેલા સેવાએ એજ સંપત્તિ ફાઉન્ડેશન ગ્રુપના ઓનર અજયભાઈ લોરીયા દ્વારા શહીદ જવાના પરિવારને રૂપિયા 1,00,000 ની સહાય આપવાની જાહેરાત કરી હતી અને પરિવારના દુઃખમાં સાંત્વના પાઠવી હતી.
વેધર રિપોર્ટ:બે દિવસમાં પારો 5 ડિગ્રી ઘટી 14.8, સિઝનની સૌથી વધુ ઠંડી
ઉત્તરના બર્ફિલા પવન શરૂ થતાં શહેરમાં બે-ત્રણ દિવસથી ઠંડીનું જોર વધી રહ્યું છે. શુક્રવારે પહેલીવાર 14.8 ડિગ્રી સાથે સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. છેલ્લા બે દિવસમાં જ પારો 4.8 ડિગ્રી ઘટ્યો છે. આગામી 24 કલાક 14-15 ડિગ્રી સાથે ઠંડીનું જોર રહેશે. ત્યારબાદ 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. જેથી ઠંડીનું જોર ઘટી શકે છે અને લઘુતમ તાપમાન 16થી 17 ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી છે. જ્યારે મહત્તમ તાપમાન 32 ડિગ્રી નજીક રહેશે. હવામાન વિભાગના જણાવ્યા નુસાર શુક્રવારે શહેરનું મહત્તમ તાપમાન 32.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 14.8 ડિગ્રી નોંધાયું હતું. ગઇકાલની સરખામણીમાં મહત્તમ તાપમાનમં 0.4 ડિગ્રીનો વધારો અને લઘુત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો થયો છે. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 75 ટકા અને સાંજે 46 ટકા નોંધાયું હતું. ઉત્તર દિશાથી 4 કિલોમીટરની ગતિએ પવનો ફૂંકાયા હતા. 2021ના ડિસેમ્બરમાં 5 વર્ષમાં સૌથી વધુ 12.2 ડિગ્રી ઠંડી હતી
ભાસ્કર ઈન્સાઈડ:મોરબીમાં પોલીસ દળમાં ભરતી માટે પ્રેક્ટિસ કરતા યુવાનને મેદાન પર જ હૃદયે દગો દીધો
મોરબીમાં પોલીસ દળમાં જોડાઇને દેશ સેવા કરવાનું સ્વપ્ન જોઇ રહેલા યુવાનને ક્યાં ખબર હતી કે મોત તેની રાહ જોઇને બેઠું છે. પોલીસ દળની ભરતી માટેની તૈયારી કરતી વખતે મેદાન પર પ્રેક્ટિસ દરમિયાન 25 વર્ષના હોનહાર યુવકનું હૃદય તેને દગો દઇ ગયું હતું અને હાર્ટએટેકના પગલે મેદાન પર જ ઢળી પડ્યો હતો.આ યુવાનને પોલીસ દળમાં જોડાવાની અદમ્ય ઈચ્છા હોય પોલીસની ભરતી માટે સખત પરિશ્રમ કરતો હતો. યુવાનનું મોત નીપજતા પરિવારમાં અરેરાટી મચી ગઇ હતી. મોરબીના વાવડી રોડ ઉપર આવેલા ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા રાજેશકુમાર નાગદાનભાઈ જેઠા (ઉ.વ.25) નામના યુવાનનું મોરબીના સામાકાંઠે આવેલ એલ.ઇ. કોલેજના ગ્રાઉન્ડ ખાતે ગઈકાલે રાત્રે નવ વાગ્યાની આસપાસ હાર્ટ એટેકથી કરુણ મોત નીપજ્યું હતું. પોલીસ દળમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલની આગામી સમયમાં ભરતી થવાની હોવાથી આ યુવાન પણ પોલીસ દળમાં જોડાઈને સમાજ અને દેશની સેવા કરવા માંગતો હતો. પોલીસમાં ભરતી થવા માટે શારીરિક ફિટનેસ ખૂબ જ મહત્વની હોવાથી પોતાની ફિટનેસ કેળવવા કોઈ કસર છોડવા માંગતો ન હતો. આથી તેના ઘરથી સામાકાંઠે આવેલું ગ્રાઉન્ડ ઘણું જ દૂર હોવા છતાં દરરોજ રાત્રે ત્યાં જઈને ગ્રાઉન્ડમાં સતત દોડવા સહિતની આકરી શારીરિક પ્રેક્ટિસ કરતો હતો અને ગતરાત્રે પણ આ યુવાન એલઇ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પોલીસની ભરતી માટે શારીરિક પ્રેક્ટિસ કરવા ગયો હતો. ગ્રાઉન્ડમાં દોડતા અચાનક છાતીમાં ગભરામણ થતા હાર્ટ એટેક આવી જવથી તે યુવાનનું મોત નીપજયું હતું. ગઇકાલથી દોડની પ્રેક્ટિસ શરૂ કરી ’તીરાજેશ કુમારે પોલીસ ભરતી માટે ફોર્મ ભર્યું હતું અને ગઈકાલથી જ દોડની પ્રેક્ટિસ શરૂ કરી હતી. જો કે દોડની પ્રેક્ટિસ વધુ કરી પોલીસમાં ભરતી થવાનું પોતાનું સ્વપ્ન પૂરું કરે તે પહેલા જ હૃદયે સાથ છોડી દીધો હતો. રાજેશ તેના પરિવારમાં એક જ દીકરો હતો અને તે પણ પરણિત છે તેને પણ દોઢ વર્ષનો પુત્ર હોવાનું સામે આવ્યું છે.રાજેશે ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો હતો અને ગેસ પંપમાં નોકરી કરતો હતો અને પોલીસ ભરતી નીકળતા તૈયારી શરૂ કરી હતી. હજુ બે રાઉન્ડ દોડના પૂર્ણ કર્યા ત્યાં ગભરામણ થવા લાગી જે બાદ ત્યાં પ્રેક્ટિસ કરતા અન્ય લોકોનું ધ્યાન જતા તેને સંભાળ્યો હતો અને સારવાર દરમિયાન તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
પાલિકાની ચૂંટણી નજીક હોય આચાર સંહિતા પહેલાં ડુમસ સી-ફેસ પ્રોજેક્ટની ભેટ આપવા શાસકોએ ડિસેમ્બરમાં પેકેજ-1 શરૂ કરી દેવા જાહેરાત કરી દીધી હતી. જો કે, ઇજારદારની ઢીલી નીતિને પગલે આ આયોજન પર પાણી ફરી વળ્યું છે. ત્રણેક માસ પૂર્વે ઇજારદારે બેઠકમાં 15 ડિસેમ્બર સુધીમાં પ્રથમ ફેઝમાં પેકેજ-1 પૂર્ણ કરી દેવા બાંયધરી આપી હતી, જો કે, હાલની સ્થિતિએ પ્રોજેક્ટને પૂર્ણ થતાં દોઢ-બે મહિના લાગે તેમ છે. ઇજારદાર એમ.પી.બાબરિયાની બેદરકારી ખુલી હોય મેયરની અધ્યક્ષતામાં સ્થાયી અધ્યક્ષ અને કમિશનરે ઇજારદાર તથા પ્રોજેકટના અધિકારીઓને તાબડતોડ બેઠક બેલાવી ઉધડો લીધો હતો. કમિશનર શાલિની અગ્રવાલે ટીમ સાથે પ્રોજેકટની આકસ્મિક મુલાકાત લેતાં કામગીરીમાં ઇજારદાર વિલંબ કરી રહ્યો હોવાનું બહાર આવ્યું હતું. ઇજારદારને દંડનીય કાર્યવાહીની ચિમકી આપીગત મંગળવારે પાલિકા ખાતે તાકીદની એક બેઠક મળી હતી, જેમાં મેયર દક્ષેશ માવાણી અને સ્થાયી અધ્યક્ષ રાજન પટેલે ઇજારદાર એમ.પી. બાબરીયાને પ્રોજેક્ટમાં બેદરકારી મામલે રીતસર ખખડાવ્યો હતો અને અધૂરી રહેલી કામગીરીમાં પણ વેઠ ઉતારી હોવાનું સામે આવ્યું હતું. આ એજન્સીને મોટી દંડનીય કાર્યવાહી કરવાની ચિમકી આપવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. ભાસ્કર ઇનસાઇટ હોર્ટિકલ્ચર, સ્કલ્પચર, એમિનિટીઝ તૈયાર કરવાના બાકીઇકો-ટૂરિઝમ પાર્કમાં 102 હેક્ટર વિસ્તારમાં 5 કિ.મી.ની કોસ્ટ લાઈનને આવરી લેવાઈ છે, જેમાં પ્રોજેક્ટને જુદા જુદા ચાર ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. ઝોન-1માં અર્બન ઝોન છે. તેમાં પણ પેકેજ-1 અને 2 છે. પેકેજ-1માં વિવિધ પ્રકલ્પો 10.32 હેક્ટર જગ્યામાં રૂપિયા 174 કરોડના ખર્ચે સાકાર કરવામાં આવી રહ્યા છે, જેમાં, મલ્ટિ લેવલ કાર પાર્કિંગ, કિડ્સ પ્લે એરિયા, સાઈકલ ટ્રેક, વોક-વે, અર્બન બીચ, સ્ટોટ્સ એરિયા, એરાઇવલ પ્લાઝા, લેન્ડસ્કેપિંગ, હોર્ટિકલ્ચર, એમિનિટિઝ, સ્કલ્પચર, ફિનિશિંગ સિવિલ વર્ક સહિતનાં કામો છે. જો કે, આ અર્બન ઝોનમાં મુખ્ય કામો હોર્ટિકલ્ચર, એમિનિટિઝ, ફિનિશિંગ અને સિવિલ વર્કનાં કામો હજી તૈયાર કરવાનાં બાકી જ છે તેમજ સ્કલ્પચર હજી તૈયાર થઈને આવ્યાં નથી.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર રશિયન રાષ્ટ્રપતિ પુતિનની મીટિંગમાં પાકિસ્તાની PMના જબરદસ્તી ઘૂસી જવાની ઘટના અંગેના રહ્યા. બીજા મોટા સમાચાર સોના-ચાંદીના રેકોર્ડ તોડવાને લઈને રહ્યા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. આર્જેન્ટીનાના ફૂટબોલર લિયોનેલ મેસ્સી ભારતની મુલાકાતે આવશે. તેઓ PM મોદી અને અભિનેતા શાહરુખ ખાન સહિત અનેક હસ્તીઓને મળશે. 2. ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢના પ્રવાસે રહેશે. નક્સલવાદ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા અભિયાનની સમીક્ષા કરશે. કાલના મોટા સમાચારો 1. 'અંદર હજી આગ છે...મુકાબલો કરવો છે':વિનેશ ફોગાટનો યુ-ટર્ન, સન્યાંસ પાછો લીધો; પોસ્ટ કરી લખ્યું- 2028માં LA ઓલિમ્પિક રમશે, દીકરાએ આપી પ્રેરણા ભૂતપૂર્વ ભારતીય રેસલર વિનેશ ફોગાટે કુસ્તીના મેટ પર ફરીથી વાપસી કરવાનો નિર્ણય કર્યો છે. તે 2028માં લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ઉતરવા માગે છે. વિનેશે પોતાના સોશિયલ મીડિયા પર આની જાણકારી આપી. તેણે લખ્યું, 'લોકો પૂછતા રહ્યા કે શું પેરિસ અંત હતો. વિનેશે કહ્યું કે ઘણા સમય સુધી, મારી પાસે આનો જવાબ નહોતો. મારે મેટથી, દબાણથી, અપેક્ષાઓથી, અહીં સુધી કે મારા સપનાઓથી પણ દૂર જવાની જરૂર હતી. વર્ષમાં પહેલીવાર મેં પોતે શ્વાસ લીધો. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ઇન્ડિગોએ કહ્યું- 'વધુ હેરાન' થયેલા મુસાફરોને જાન્યુઆરીમાં વળતર આપીશું:3-5 ડિસેમ્બરે એરપોર્ટ પર ફસાયેલા પેસેન્જર્સની ઓળખ કરી રહ્યા છીએ, ₹500 કરોડનું વળતર બજેટ ઇન્ડિગો ફ્લાઇટ રદ થવાથી પ્રભાવિત મુસાફરોને ₹500 કરોડથી વધુનું રિફંડ અને વળતર આપશે. કંપનીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે 3-5 ડિસેમ્બર દરમિયાન ફ્લાઇટ રદ થવાથી વધુ હેરાન થયેલા મુસાફરોને જાન્યુઆરીમાં વળતર મળશે. જોકે, ઇન્ડિગોએ સ્પષ્ટ કર્યું નથી કે વધુ હેરાનનો અર્થ શું છે અથવા કયા મુસાફરોને આ વળતર મળશે. એરલાઇને વધુમાં જણાવ્યું હતું કે, અમારો અંદાજ છે કે કુલ ₹500 કરોડથી વધુનું વળતર એ ગ્રાહકોને આપવામાં આવશે, જેમની ફ્લાઇટ ઉડાન 24 કલાકની અંદર કેન્સલ થઈ અથવા એરપોર્ટ પર ખરાબ રીતે ફસાયેલા રહ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 3. મમતાએ કહ્યું- અમિત શાહ ખતરનાક, તે દુર્યોદન-દુશાસન જેવા:મહિલાઓને કહ્યું- SIRમાં નામ કપાય તો તમારી પાસે રસોઈ બનાવવાના વાસણ છે, તેનાથી લડો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ખતરનાક ગણાવ્યા છે. મમતાએ ગુરુવારે કૃષ્ણાનગરની રેલીમાં કહ્યું કે શાહની આંખોમાં દહેશત છે. તેમની એક આંખમાં તમને દુર્યોધન તો બીજી આંખમાં દુશાસન દેખાશે. મમતાએ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR એટલે કે મતદાર ચકાસણી)ને લઈને મહિલાઓને કહ્યું- તેઓ (કેન્દ્ર સરકાર) SIRના નામે માતાઓ-બહેનોના અધિકાર છીનવી લેશે. તેઓ ચૂંટણી દરમિયાન દિલ્હીથી પોલીસ બોલાવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. પુતિનની મિટિંગમાં પાકિસ્તાની PM જબરજસ્તીથી ઘૂસ્યા, VIDEO:રશિયન રાષ્ટ્રપતિએ 40 મિનિટ રાહ જોવડાવી; પત્રકારને જોઈને પુતિને આંખ મારી પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ શુક્રવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની બેઠકમાં બળજબરીથી ઘૂસી ગયા. આ દરમિયાન પુતિન તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન સાથે બેઠક કરી રહ્યા હતા. આ મામલો તુર્કમેનિસ્તાનનો છે. અહીં ઇન્ટરનેશનલ પીસ એન્ડ ટ્રસ્ટ ફોરમની બેઠક યોજાઈ રહી છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ પુતિન અને વડાપ્રધાન શાહબાઝ વચ્ચે બેઠક થવાની હતી. પરંતુ શાહબાઝને 40 મિનિટ સુધી રાહ જોવડાવ્યા પછી પણ પુતિન તેમને મળવા પહોંચ્યા નહીં. આ પછી શાહબાઝ થાકીને ત્યાંથી નીકળી ગયા અને પુતિન-એર્દોગનની ચાલી રહેલી બેઠકમાં સામેલ થવા ચાલ્યા ગયા. 10 મિનિટ પછી શાહબાઝને એકલા ત્યાંથી નીકળતા જોવામાં આવ્યા. થોડીવાર પછી જ્યારે પુતિન ત્યાંથી નીકળ્યા ત્યારે તેમણે એક પત્રકારને જોઈને આંખોથી ઈશારો કર્યો. આ બધી ઘટનાઓ વીડિયોમાં કેદ થઈ ગઈ છે. રશિયન વેબસાઇટ રશિયા ટુડે (RT ન્યૂઝ)એ તેને સોશિયલ મીડિયા પર શેર કરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ચાંદીએ બધા રેકોર્ડ તોડ્યા...:પહેલીવાર 2 લાખની સપાટી વટાવી, સોનાએ પણ રચ્યો ઈતિહાસ, 10 ગ્રામનો ભાવ ₹1.35 લાખ થયો; જાણો ખરીદીમાં શું ધ્યાન રાખશો ફેડરલ રિઝર્વ બેંક દ્વારા માગમાં વધારો અને વ્યાજ દરમાં ઘટાડાને પગલે, ચાંદીના ભાવ પહેલી વાર પ્રતિ કિલો ₹2 લાખને વટાવી ગયા. ચાંદી હાલમાં મલ્ટી-કોમોડિટી માર્કેટ (MCX) પર લગભગ ₹1,600 વધીને ₹200,510 પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. આજે સોનાએ પણ રેકોર્ડ તોડ્યો હતો. આજે ચાંદી કરતાં સોનાના ભાવમાં વધારો થયો. MCX પર સોનાનો ભાવ લગભગ ₹2,500 વધીને ₹134,966 પ્રતિ 10 ગ્રામની રેકોર્ડ ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યો. ભારતીય શેરબજાર બંધ થયા પછી સાંજે સોના અને ચાંદીના ભાવમાં આ તીવ્ર ઉછાળો આવ્યો. ભારતીય શેરબજાર પણ આજે મજબૂત વધારા સાથે બંધ થયું. નિફ્ટી 140 પોઈન્ટ વધીને 26,000 પર બંધ થયો, અને સેન્સેક્સ 450 પોઈન્ટ વધીને 85,267 પર બંધ થયો. વાંચો સંપૂર્ણ સમાચાર 6. મહેસાણાના પરિવારનું લીબિયામાં અપહરણ, 2 કરોડની ખંડણી માગી:'બે દિવસથી ખાવા નથી આપ્યું, સ્વેટર કાઢી બેસાડ્યો છે, પત્ની-દીકરીને અલગ રાખ્યા છે' યુરોપમાં સ્થાયી થવાના સપના સાથે નીકળેલા મહેસાણા જિલ્લાના બાદલપુરા ગામના એક પરિવારને એજન્ટોએ છેતરીને લીબિયા મોકલી દીધો છે, જ્યાં તેમને બંધક બનાવીને તેમની મુક્તિ માટે 2 કરોડ જેટલી તોતિંગ ખંડણીની માંગ કરવામાં આવી રહી છે. પીડિત પરિવારે આ કાવતરામાં મહેતા હર્ષિત કમલેશભાઈ નામના એક વ્યક્તિની સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો છે. બંધક બનાવાયેલા કિસ્મતસિંહે તેના કાકાને કોલ પર કહ્યું હતું કે, કાકા જે હોય એ ક્લિયર કરાવો, બે દિવસથી ખાવા નથી આપ્યું અને સ્વેટર કાઢીને બેસાડી રાખ્યો છે. દેવાંશી(પત્ની) અને મારી દીકરીને અલગ રાખી છે. આ ભાઈના નંબર પર વાત કરી જે હોય એ ક્લિયર કરો. વાંચો સંપૂર્ણ સમાચાર 7. એલોન મસ્કની સ્ટારલિંક ગુજરાતમાં ટૂંક સમયમાં શરૂ થશે!:CMએ Starlinkના વાઇસ પ્રેસિડેન્ટ સાથે બેઠક કરી; સ્ટારલિંકનો 'ગુજરાતના લોકોને સેવા આપવા આતુર છીએ'નો ખાસ સંદેશ ગુજરાતમાં ડિજિટલ ક્રાંતિને નવા વેગ આપતા ગાંધીનગર ખાતે યોજાયેલા Regional AI Impact Conferenceના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વવિખ્યાત SpaceX–Starlinkના બિઝનેસ ઓપરેશન્સના વાઇસ પ્રેસિડેન્ટ લોરેન ડ્રેયર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા પણ હાજર રહ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : રાહુલે કહ્યું- સરકાર પ્રદૂષણ રોકવા માટે પ્લાન બનાવે:રિજિજુએ કહ્યું- અમે સંસદમાં ચર્ચા માટે તૈયાર છીએ; કોંગ્રેસ સાંસદોની બેઠકમાં થરૂર હાજર રહ્યા નહીં વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : મોદીએ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી:બંને દેશોના સંબંધો સુધારવા પર ચર્ચા થઈ, આ વર્ષે બંને વચ્ચે છઠ્ઠી વખત વાતચીત થઈ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : 2027માં ભારતની થશે ડિજિટલ વસતીગણતરી:બે તબક્કામાં ગણતરી થશે, જાતિ પણ પૂછાશે, એક વ્યક્તિની ગણતરીનો રુ. 97 ખર્ચ, 12 હજાર કરોડનું બજેટ મંજૂર વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ટ્રમ્પની બીમારીની અફવાઓ ફગાવાઈ:કહ્યું- દરરોજ અનેક લોકો સાથે હાથ મિલાવવાથી નિશાન પડી જાય; ટ્રમ્પે કહ્યું-મારા જેવો મહેનતુ રાષ્ટ્રપતિ કોઈ નથી વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : નવેમ્બરમાં શાકભાજી અને મસાલાના ભાવ વધ્યા:રિટેલ મોંઘવારી વધીને 0.71% પર પહોંચી, ઓક્ટોબરમાં તે 0.25% પર હતી વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : T20 વર્લ્ડ કપ 2026ની ટિકિટો આજથી વેચાવાનું શરૂ:ભારતમાં ₹100 અને શ્રીલંકામાં ₹290ની શરૂઆતની કિંમત; 7 ફેબ્રુઆરીથી ટુર્નામેન્ટ વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ગંદા બેડરૂમ-બાથરૂમ ગ્રહોને કરશે નારાજ:રાહુ ઉગ્ર થાય તો ટેન્શન અને બીમારી ઘેરી વળે; જાણો બેડરૂમ સાથે કયા ગ્રહોનો છે સંબંધ વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન ખબર હટકે ઓસ્ટ્રેલિયામાં સ્કાયડાઇવર પ્લેનની પાંખમાં ફસાઈ ગયો ઓસ્ટ્રેલિયામાં 15,000 ફૂટની ઊંચાઈએ એક સ્કાયડાઇવરનું પેરાશૂટ વિમાનની પાંખમાં ફસાઈ ગયું, જેના કારણે તે હવામાં લટકીને નીચે પડી ગયો. તેણે હૂક નાઈફ વડે 11 દોરડાં કાપીને પોતાને છોડાવ્યો, જોકે તેને સામાન્ય ઈજાઓ થઈ. ત્યારબાદ પાયલટે વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું. ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor’s View : ‘ધુરંધર’નો ધુંઆધાર વિવાદ:6 ગલ્ફ દેશોએ પાકિસ્તાનનો પક્ષ લઈ પ્રતિબંધ મૂક્યો, ચૌધરી અસલમની પત્ની ભડકી; જાણો ફિલ્મના વિવાદના 4 કારણો 2. ગ્લોબલ ગુજરાતી-5 'ગુજરાતના વિકાસમાં 180 ડિગ્રીનો વળાંક આવ્યો':ગુજરાતમાં ટીચરની જૉબ કરી, કેન્યાનો ધમધોકાર ચાલતો બિઝનેસ છોડી ઓસ્ટ્રેલિયાની વાટ પકડી 3. આજનું એક્સપ્લેનર:મંદિરના પક્ષમાં ચુકાદો આપનાર જજ પર મહાભિયોગની તૈયારી; 107 વિપક્ષી સાંસદોએ આપી નોટિસ; શું છે મંદિર-દરગાહ વિવાદ? 4. ફિલ્મી ફેમિલી કપિલ શર્માને બરબાદ કરવાના સોગંદ કોણે લીધા હતા?:સફળતા મળતાં જ કોમેડિયન દારૂના નશામાં ચકચૂર રહેતો, PM નરેન્દ્ર મોદીને સવાલ કરતાં સરકાર દોડતી થઈ હતી! 5. ભાસ્કર એક્સપ્લેનર : બેન્ક-વીમામાં તમારા પૈસા દાવો કર્યા વગરના તો નથી ને?:આવા 78 હજાર કરોડ પરત કરવા માગે છે સરકાર, કેવી રીતે મળશે; 6 સવાલોમાં જાણો બધુ 6. 'માત્ર મુસલમાનોના ઘરો તોડ્યા, હવે અમને ગોળી મારી દો':બંગાળી મુસ્લિમો પર બુલડોઝર એક્શન સવાલોમાં, હિંદુઓ-ઈસાઈઓને કેમ છોડી દીધા 7. શું નેપાળમાં ફરી થશે હિંસક આંદોલન?:સરકાર બદલાઈ પણ અધિકારીઓ એ જ છે; GenZ લીડર્સે કહ્યું- 100 દિવસમાં કંઈ બદલાયું નથી, ફરી લડીશું કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ:કન્યા રાશિના જાતકોને આજે કોઈ મોટી તક મળી શકે છે;સિંહ જાતકોને પારિવારિક મામલો ઉકેલાવાથી ઘરમાં શાંતિ સ્થપાશે (વાંચો સંપૂર્ણ રાશિફળ)
રાજ્યભરમાં તા.9 નવેમ્બરથી મગફળી, ચણા અને સોયાબિનની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થયા બાદ એક મહિનામાં રાજકોટ જિલ્લામાં નોંધાયેલ 1,75,448 ખેડૂતો પૈકી 86184 ખેડૂતો પાસેથી ગુજકોમાસોલ મારફતે કુલ 2008373 ક્વિન્ટલ મગફળીની ખરીદી કરી છે. સાથે જ ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાના 43052 ખેડૂતના ખાતામાં રૂ.72792.78 લાખ જમા કરાવાયા છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી પ્રતિ મણ રૂ.1452ના ભાવે વધુમાં વધુ 125 મણ મગફળી ખરીદવાનું જાહેર કરી રાજ્યમાં 9મી નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાયો હતો. અત્યાર સુધીમાં કુલ 34 દિવસમાં જિલ્લામાં નોંધાયેલ 1,75,448 ખેડૂતો પૈકી 97605 ખેડૂતોને મગફળી ખરીદી માટેના એસએમએસ મોકલ્યા હતા જે પૈકી 86184 ખેડૂતોએ મગફળીનું ટેકાના ભાવે વેચાણ કરતા ગુજકોમાસોલ મારફતે 2008373 ક્વિન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી છે. સાથે જ અત્યાર સુધીમાં ખેતીવાડી વિભાગે 43052 ખેડૂતના ખાતામાં રૂ.72792.78 લાખ જમા કર્યા હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું. 50 ટકાથી વધુ ખેડૂતોને ચૂકવણા બાકીરાજકોટ જિલ્લાના 11 તાલુકાઓમાં તા.9 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થયા બાદ ક્રમશ: તમામ ખેડૂતોને એસએમએસ મોકલી ગુજકોમાસોલ મગફળીની ખરીદી કરી રહ્યું છે જેમાં ખરીદી બાદ બેન્ક ખાતમાં નાણાં જમા થવામાં સમય લાગી રહ્યો છે. હાલમાં જિલ્લામાં 86184 ખેડૂતો પાસેથી મગફળી ખરીદી થયા બાદ 43052 ખેડૂતોના ખાતામાં મગફળી વેચાણના નાણાં જમા થયા છે અને હજુ પણ 43118 ખેડૂતોના ખાતામાં મગફળી વેચાણની રકમ જમા ન થઇ હોવાનું સામે આવ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લાંબા સમયથી રાહ જોઈ રહેલા જૂના અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ માટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પરીક્ષા વિભાગ દ્વારા વર્ષ 2010 થી 2015 સુધીનાં રજિસ્ટ્રેશન થયેલ સ્નાતક (UG) અને અનુસ્નાતક (PG) કક્ષાનાં વિદ્યાર્થીઓની બાકી રહેલ બેકલોગ પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવી છે. 26 ડિસેમ્બરથી યુનિવર્સિટીની જુદી-જુદી 8 ફેકલ્ટીના 46 કોર્સની પરીક્ષાનો પ્રારંભ થશે. યુનિવર્સિટી દ્વારા જાહેર કરેલા ટાઈમટેબલ મુજબ સ્નાતક કક્ષાએ સેમેસ્ટર-5 અને સેમેસ્ટર-6 તેમજ અનુસ્નાતક કક્ષાએ સેમેસ્ટર-3 અને સેમેસ્ટર-4ના સત્રની લેખિત પરીક્ષાઓ તા. 26 ડિસેમ્બરથી શરૂ થશે. આ પરીક્ષાઓનો સમયગાળો સવારની પાળીમાં 10.30 થી 1:00 અને બપોરની પાળી 2.30 થી 5:00 કલાક દરમિયાન લેવાશે. આ પરીક્ષામાં વિવિધ વિદ્યાશાખાઓ (ફેકલ્ટી)ના કોર્સનો સમાવેશ થાય છે. યુનિવર્સિટી માટે સૌથી મોટો પડકાર કોઇપણ પ્રકારના વિવાદ વિના પરીક્ષા પૂર્ણ કરવાનો છે. કારણ કે અગાઉની જેટલી પરીક્ષા લેવાઈ તેમાં કોઈને કોઈ વિવાદ થયા છે.
રાજકોટ સહિત રાજ્યભરમાં એસઆઇઆરની કામગીરી પૂર્ણ થઇ છે અને આગામી 19મીએ સ્પેશિયલ ઇન્સેટિવ રિવિઝન બાદ તૈયાર થયેલી મતદારયાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ થનાર હોય રાજકોટ જિલ્લાના ઇલેક્ટ્રોલ રોલ ઓબ્ઝર્વર અને પ્રભારી સચિવ રાહુલ ગુપ્તા શુક્રવારે રાજકોટની મુલકાતે આવ્યા હતા અને એસઆઇઆરની સમીક્ષા કરી હતી. સાથે જ 12 જાન્યુઆરી દરમિયાન રાજકોટ ખાતે યોજાનાર કચ્છ-સૌરાષ્ટ્ર વાયબ્રન્ટ રિજનલ કોન્ફરન્સના આયોજન અંગેની સમીક્ષા પણ કરી હતી. ઉપરાંત આરોગ્ય, શિક્ષણ અને કુપોષણની સ્થિતિનો પણ ચિતાર મેળવી શાળાઓમાં ગર્લ ચાઈલ્ડ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા અંગે ટકોર કરી હતી. રાજકોટ જિલ્લામાં તા. 4 નવેમ્બરથી ડોર ટુ ડોર ગણતરી ફોર્મ વિતરણ કરી એસઆઇઆરની કામગીરી શરૂ કરાયા બાદ હાલ તમામ 8 વિધાનસભા બેઠકમાં 100 ટકા ડિજિટાઇઝેશન પૂર્ણ થયું છે. જિલ્લામાં નોંધાયેલા 23,91,027 મતદારો પૈકી 89292 મતદારોના મૃત્યુ, 61274 મતદારો મળી આવતા ન હોય તેવા તેમજ 1,69606 મતદારો કાયમી સ્થળાંતરિત કુલ 3,38,640 મતદારોના નામ રદ થયા છે અને 2.61 લાખ મતદારોના મેપિંગ ન થયા હોય તમામ બાબતની સમીક્ષા કરી હતી. 19મી બાદ ફરી તેઓ રાજકોટની મુલાકાત લેનાર હોવાનું જાણવા મળે છે. તા.10,11 અને 12 જાન્યુઆરીએ રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે કચ્છ-સૌરાષ્ટ્ર રિજનલ વાયબ્રન્ટ કોન્ફરન્સનું આયોજન કરાયું છે. અને વડાપ્રધાન મોદીની હાજરીમાં કોન્ફરન્સ યોજનાર હોવાથી પ્રભારી સચિવે તૈયારીની સમીક્ષા કરી વિવિધ કમિટીના વડાઓ સાથે બેઠક યોજી હતી. સાથે-સાથે જિલ્લામાં આરોગ્ય, શિક્ષણ સહિતની બાબતોની પણ સમીક્ષા કરી જિલ્લામાં પ્રસૂતા માતાઓને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે સંબંધિત વિભાગોને ટેક હોમ રેશન નિયમિત મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા અને ગર્લ ચાઈલ્ડ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા ભાર મુક્યો હતો.
કરુણ બનાવ:પહેલા માળેથી પડી જતા શ્રમિકનું મોત
ગોંડલ ચોકડી નજીક વાવડીમાં ટાટા શો-રૂમની પાછળ નવી બાંધકામની સાઈટના પહેલા માળેથી પટકાતાં શ્રમિક યુવાનનું મોત થયું હતું. અશ્વિનભાઈ અને રમેશભાઈની બાંધકામની સાઈટ પર રહેતા લક્ષ્મણભાઈ કાનજીભાઈ ગરાસિયા(ઉં.વ.33)નામના યુવકનું રાત્રીના બાંધકામની બિલ્ડિંગના પહેલા માળેથી નીચે પટકાતાં તેને ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો પરંતુ અહીં તેનું સારવારમાં મોત નીપજ્યું છે. રાત્રીના લઘુશંકા કરવા માટે જાગ્યા હોય પરંતુ ધ્યાન ન રહેતા પહેલા માળેથી પટકાયા બાદ નીચે લોખંડના ગેટ ઉપર પટકાતા ગંભીર ઈજા થઇ હતી.
દર શિયાળે ડિસેમ્બરમાં કાતીલ ઠંડીનો સામનો કરતા નલિયામાં પારો આંશિક નીચે સરકીને 8.8 ડિગ્રીએ પહોંચતાં ચાલુ મોસમની સૌથી ઠંડી રાત લોકોએ અનુભવી હતી. તેની વિપરીત મહત્તમ ઉષ્ણતામાન 32.2 ડિગ્રીએ પહોંચતાં દિવસે ગરમી સાથેની બેવડી મોસમે નગરજનોને અકળાવ્યા હતા. આગામી પાંચ દિવસ ઠંડીમાં કોઇ રાહત નહીં મળે તેવું પૂર્વાનુમાન વ્યક્ત કરાયું છે. રાજ્યના સૌથી શીત અને ઉષ્ણ પણ રહેલા નલિયામાં હવે શિયાળો કાતીલ મિજાજ દર્શાવી રહ્યો છે. છેલ્લા બે દિવસથી પારો એક આંકે રહેતાં લોકો મોડી સાંજે જ ઘરે પહોંચી જાય છે તો બજારો પણ સાંજે 7 વાગ્યા બાદ સૂમસામ ભાસે છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઠંડીની પકડ મજબૂત બની રહી છે પરિણામે નલિયાની બજારમાં સવારે ચહલ પહલ નહિવત બની છે. ઝૂંપડપટ્ટીમાં રહેતા વર્ગ માટે તાપણું એકમાત્ર સહારો બન્યું છે. કચ્છમાં બીજા ક્રમે ઠરેલા ગાંધીધામ અને અંજારમાં પારો એક આંક નીચે સરકીને 10.9 ડિગ્રીએ પહોંચ્યો હતો પરિણામે શિયાળો અસલી મિજાજ દર્શાવતો જણાયો હતો. અહીં અધિકત્તમ ઉષ્ણતામાન 30.1 ડિગ્રી રહ્યું હતું. જિલ્લા મથક ભુજમાં ન્યૂનતમ તાપમાન 14.5 ડિગ્રી પર સ્થિર રહ્યું હતું જ્યારે મહત્તમ આંશિક ઘટીને 31.6 ડિગ્રી, કંડલા બંદરે 30.2 અને 14.5 ડિગ્રી નોંધાયું હતું. પાંચ દિવસ બાદ રાત્રિનું તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઉંચકાવાની સાથે ઠંડીમાં થોડી રાહત રહેશે તેવો વરતારો હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. નલિયામાં દર ડિસેમ્બર મહિને કાતિલ ઠારનલિયામાં દર વર્ષે ડિસેમ્બર માસમાં ઠંડી ચરમ સીમાએ પહોંચે છે. છેલ્લા પાંચ વર્ષના આંકડા પર નજર કરીએ તો વર્ષ 2020 અને 21માં તા. 18 ડિસેમ્બરે ન્યૂનતમ તાપમાન 2.5 ડિગ્રી નોંધાયું હતું. 2022માં તા. 25ના 4.2 તો 2023માં 11 ડિસેમ્બરે 8.5 ડિગ્રી જ્યારે ગત વર્ષે 2024માં 28 તારીખે 4.2 ડિગ્રી સાથે સૌથી ઠંડી રાત અનુભવાઇ હતી.
સાહિત્ય સંશોધક ડો.નિરંજન રાજ્યુગુરુને એવોર્ડ:રાષ્ટ્રીય સ્તરનો લાઇફટાઇમ એચિવમેન્ટ પુરસ્કાર અપાયો
પશ્ચિમ ભારત સાંસ્કૃતિક કેન્દ્ર (વેસ્ટ ઝોન કલ્ચર સેન્ટર, ઉદયપુર-રાજસ્થાન)ના ઉપક્રમે દર વર્ષે 21 ડિસેમ્બરથી યોજાતા શિલ્પગ્રામ ઉત્સવના ઉદઘાટન સમયે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને ગોવાના ચાર રાજ્યમાંથી લોકકલાના સંશોધન-સંરક્ષણ ક્ષેત્રે જેમનું શ્રેષ્ઠ પ્રદાન હોય એવા વિદ્યાન મહાનુભાવોને રાજસ્થાનના રાજ્યપાલ તથા વેસ્ટ ઝોન કલ્ચર સેન્ટર, ઉદયપુરના અધ્યક્ષના હસ્તે પદ્મભૂષણ ડો. કમલ કોઠારી સ્મૃતિ લાઇફ ટાઇમ એચિવમેન્ટ લોકકલા પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. જે અંતર્ગત 21મી ડિસેમ્બરને રવિવારે રૂ. 2,51,000ની ધનરાશિ સાથે રજત ચંદ્રક અને શાલથી ગુજરાતી લોકકલા, લોકસાહિત્ય, સંતસાહિત્ય, ચારણી-બારોટી સાહિત્યના ક્ષેત્રે છેલ્લા 50 વર્ષથી ક્ષેત્રકાર્ય, સંશોધન, પ્રચાર-પ્રસાર કરનારા ડો.નિરંજન રાજ્યગુરુને આ પુરસ્કાર એનાયત કરાશે. ઉલ્લેખનીય છે કે, ગોંડલ પાસેના ઘોઘાવદર ગામે એમણે સ્થાપેલા ‘આનંદ આશ્રમ’માં 20 હજાર અપ્રાપ્ય ગ્રંથોનું સંદર્ભ ગ્રંથાલય, હસ્તપ્રત ભંડાર અને પરંપરિત ભક્તિસંગીત-લોકસંગીતનું ધ્વનિમુદ્રણ સચવાયું છે. તેમજ છેલ્લા 30 વર્ષથી જીવદયા અને ગૌસેવાની પ્રવૃત્તિઓ અને અન્ય સેવાકાર્યો થાય છે. રોજના 45 કુટુંબોને મફત છાશ અપાય છે.
ભાસ્કર ઈનસાઈડ:12 ઘરફોડ ચોરી કરનાર બોટાદના બંધુ ઝડપાયા
પશ્ચિમ કચ્છમાં અલગ અલગ 12 જગ્યાએ ઘરફોડ ચોરીના બનાવને અંજામ આપનાર આરોપી બંધુને એલસીબીએ ઝડપી લીધા છે. મુળ બોટાદના અને હાલ યક્ષ ત્રણ રસ્તા પાસે રહેતા આરોપી નખત્રાણાના લાખાડી ગામની સીમમાં શંકાસ્પદ ગતિવિધિ બાદ હાથ લાગતા ગુનાની કબુલાત આપી હતી જેની પાસેથી પોલીસે ચાર લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને વધુ છ આરોપીઓની સંડોવણી સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીની ટીમ વણશોધાયેલા ગુના શોધવા માટે પ્રયત્નશીલ હતી.એ દરમિયાન નખત્રાણા તાલુકાના લાખાડી ગામની સીમમાં આરોપી રાજા રમેશ રાઠોડ અને જયસિંગ ઉર્ફે પ્રવીણ ઉર્ફે સુકો રમેશ રાઠોડ હાજર મળી આવ્યા હતા.જેની પાસેથી ચાવીઓનો ઝૂમખો,ઇલેક્ટ્રિક પકડ અને ગણેશીયુ મળી આવ્યા હતા.જેના આરોપીઓ પાસે કોઈ આધાર પુરાવા ન હોવાથી પોલીસે તેની વધુ પૂછપરછ કરી હતી. જેમાં ભુજ શહેર એ ડીવીઝન,મુન્દ્રા,માનકુવા અને નખત્રાણા પોલીસ મથકે નોધાયેલા ઘરફોડ ચોરીના ગુનાની કબુલાત કરી હતી.આ ઉપરાંત આરોપીઓએ પોલીસ ચોપડે ન ચડેલા વધુ સાત ગુનાની કબુલાત આપી હતી જેમાં સામત્રા ટોલનાકા પાસે આવેલ વાડી પરથી રોકડ 2 હજાર અને એક ફોન ચોરી કર્યો હતો, માનકુવા પાસે આવેલ વાળીના ડેલામાંથી ચાંદીનો મંગળસુત્ર અને છળા,બળદિયા પાસે આવેલ વાડી પરથી કાનના સોનાના બુટીયા,રોકડ 2 હજાર અને ચાંદીના છડા,કોઠારા હાઈવે પરની વાડીમાંથી ચાંદીના કડલા અને મંગળસુત્ર,કબરાઉ નજીકની વાડી પરથી ચાંદીના છડા,ચેન અને મંગળસુત્ર તેમજ માનકુવા ભૂમિ પેટ્રોલપંપ પાસે રોડ પરની વાડીમાંથી મોબાઈલ અને મિરજાપર રોડ પર ભગવતી હોટલ પાછળના ઝુપડામાંથી ચાંદીનો ચેન અને રોકડ 5 હજારની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. જેમાં આરોપી અજય હિંમત વીરા,રોમન અજય વીરા,ધારસિંહ ગંજી કરમાવત,ચમેલી રમેશ રાઠોડ,નરેશ ગંજી કરમાવતની સંડોવણી સામે આવી છે. પોલીસે આરોપી બંધુ પાસેથી કુલ રૂપિયા 4 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.જોકે બન્ને આરોપી હળવદ,ભુજ શહેર બી ડીવીઝન,હિંમતનગર અને પદ્ધર પોલીસના ચોપડે ચડેલા છે. જુના કપડા માંગી વેચવાની આડમાં રેકી કરતાબન્ને આરોપી યક્ષ ત્રણ રસ્તા પાસે ઝુપડામાં રહેતા હતા અને જુના કપડા માંગી તેને વેચવાનું કામ કરતા હતા.મોટા ભાગે વાડી વિસ્તારમાં બંધ ઓરડી કે મકાનની કપડા વેચવાની આડમાં રેકી કરતા હતા જે બાદ નિશાન બનાવી તસ્કરીને અંજામ આપતા હતા.ચોરીનો માલ આરોપીઓએ ભુજના મહેશ કેશવજી સોનીને આપ્યો હતો જેની લગડી બનાવી આપી હતી.પોલીસે જ્યારે બોટાદના રાણપુર ગામના બન્ને આરોપીઓને પકડ્યા ત્યારે પણ લાખાડી ગામની સીમમાં રેકી કરી રહ્યા હતા જેમની પાસેથી ચોરીના બનાવને અંજામ આપવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો પણ મળી આવ્યા હતા.
ભાસ્કર બ્રેકિંગ:પીએમ મોદી રાજકોટમાં 10 જાન્યુઆરીએ વાઇબ્રન્ટ રીજનલ કોન્ફરન્સમાં હાજર રહેશે
ગુજરાત સરકાર આવતી 10થી 12 જાન્યુઆરી દરમિયાન રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું આયોજન કરી રહી છે. આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ હાજર રહેશે. મોદીની સાથે આ મંચ પર વિવિધ દેશોના રાજદ્વારીઓ અને રોકાણકારોનું પ્રતિનિધીમંડળ પણ હાજર રહેશે. કોન્ફરન્સ પૂર્વે સ્થાનિક અને વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે ગુજરાત સરકારના અધિકારીઓએ શુક્રવારે નવી દિલ્હીમાં બેઠકો યોજી હતી. આ બેઠકમાં ગુજરાતના આઠ સચિવ કક્ષાના વરિષ્ઠ અધિકારીઓએ રશિયા, ઇઝરાયેલ, સિંગાપોર, યુએઈ, ઇન્ડોનેશિયા, ન્યુઝિલેન્ડ, ફિનલેન્ડ, કેનેડા, શ્રીલંકા, ઓમાન, આઇસલેન્ડ, ગાયાના, રવાંડા, દક્ષિણ આફ્રિકા, કતાર, તાન્ઝાનિયા, યુગાંડા અને ઉઝબેકિસ્તાન સહિત 20 થી વધુ દેશોના પ્રતિનિધિઓ સાથે સંવાદ કરી કોન્ફરન્સમાં પાર્ટનર કંટ્રી તરીકે જોડાવવા આમંત્રણ આપ્યું હતું. કોન્ફરન્સમાં માછીમારી, બંદરો, ધોલેરા SIR, પ્રવાસન જેવા ક્ષેત્રોમાં આ દેશોના ઔદ્યોગિક મંડળો અને રાજદ્વારીઓ રસ દાખવે તે માટે અધિકારીઓએ ચર્ચા કરી હતી. મૂળ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જેવો જ માહોલ હશે, પણ ગાંધીનગરને બદલે રાજકોટમાં આયોજન થશેઆ રીજનલ સમિટ દર બે વર્ષે યોજાતી વાઇબન્ટ ગુજરાત સમિટની તારીખે જ યોજાવા જઇ રહી છે, તેથી સરકાર તેને મૂળ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જેવું જ રૂપ આપશે. આ કાર્યક્રમના મંચ પર વિદેશી પ્રતિનિધીઓ અને ગુજરાત તેમજ દેશના મોટા ઉદ્યોગપતિઓ પણ હાજર રહેશે. કૃષિથી માંડીને માઇનિંગ, ઓટો, કેમિકલ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધીના ક્ષેત્રે અહીં હજારો કરોડ રૂપિયાના એમઓયુ પણ થશે. નવી દિલ્હીમાં આ અધિકારીઓએ પ્રેઝન્ટેશન કર્યું હતુંબેઠકમાં ગુજરાત સરકારનાં ઉદ્યોગ સચિવ મમતા વર્મા, કેન્દ્રીય ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગનાં સંયુક્ત સચિવ સંધ્યા ભુલ્લર, આર્થિક બાબતોનાં સચિવ આરતી કંવર, પશુપાલન સચિવ સંદીપ કુમાર, ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ, પ્રવાસન સચિવ ડૉ. રાજેન્દ્ર કુમાર, ગુજરાત મેરિટાઇમ બોર્ડના CEO રાજકુમાર બેનિવાલ, મુખ્યમંત્રીના સચિવ ડૉ. વિક્રમ પાંડે અને ધોલેરા SIRના CEO કુલદીપ આર્ય હાજર રહ્યા હતા.
રાજ્યમાં શહેર અને જિલ્લામાં SIRની કામગીરી તેજ ગતીએ ચાલી રહી છે. ત્યારે તંત્ર અને ભાજપ દ્વારા સંયુક્ત રીતે પણ કામગીરી ચાલી રહી છે. ત્યારે શુક્રવારે ગુજરાત ભાજપના પ્રભારી રત્નાકર તેમજ સૌરાષ્ટ્ર SIR ઇન્ચાર્જ મહેશ કસવાલા રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેઓએ રાજકોટના તમામ કોર્પોરેટર, તમામ મંડળ પ્રમુખ, વોર્ડ પ્રમુખ સહિતના કાર્યકરો સાથે બેઠક યોજી હતી. આગામી ફેબ્રુઆરીમાં ચૂંટણીની શક્યતાઓ સેવાઇ રહી છે. ત્યારે સૌરાષ્ટ્ર SIR ઇન્ચાર્જ મહેશ કસવાલા તેમજ ગુજરાત ભાજપના પ્રભારી રત્નાકરે બેઠકમાં જિલ્લામાં ડોર ટુ ડોર ગણતરી ફોર્મ વિતરણ, ડિજિટાઇઝેશન, નોંધાયેલા મતદારો તેમજ મૃત્યુ પામેલા મતદારો, સ્થળાંતરીત મતદારો, રદ થયેલા મતદારો તેમજ મેપિંગ પ્રક્રિયા સહિતના મુદ્દે ચર્ચા કરીઓછામાં ઓછા ફોર્મ રદ થાય તે મુદ્દે તાકીદ કરી તેમજ કાર્યકરોને સમજ આપી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં તમામ મંડળ પ્રમુખ, શહેર પ્રમુખ, SIR ઇન્ચાર્જ, મહામંત્રી, કાર્યકરો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
શહેરના કુવાડવા રોડ પર આવેલી સ્કંદ લાઇફ કેર હોસ્પિટલમાં નવ મહિના પહેલા એક યુવકનું મૃત્યું થયું હતું, ડેંગ્યૂની બીમારીમાં દાખલ થયેલા યુવકની તબિયત લથડતી ગઇ હતી, તબીબોએ લાપરવાહી દાખવતાં યુવકની જિંદગીનો અંત આવી ગયો હતો. આ મામલે અંતે પોલીસે બે ડોક્ટર સામે ગુનો નોંધ્યો હતો. પેડક રોડ પરની સેટેલાઇટ સોસાયટીમાં રહેતા ચાંદનીબેન સુભાષભાઇ રેણપરા (ઉ.વ.49)એ બી.ડિવિઝ્ન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કુવાડવા રોડ પર આવેલા સ્કંદ લાઇફકેર હોસ્પિટલના ડો.હાર્દિક સંઘાણી અને ડો.જીજ્ઞેશ પટેલના નામ આપ્યા હતા. ચાંદનીબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પુત્ર 18 સપ્ટેમ્બર 2024ના તાવ આવતા રિપોર્ટ કરાવ્યો હતો અને તેને ડેંગ્યૂ હોવાનો રિપોર્ટ આવતાં તા.19ના તેને સ્કંદ લાઇફકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે તેના પ્લેટલેટ કાઉન્ટ 41 હજાર હતા, ત્યારબાદ કાઉન્ટ સતત ઘટતા ગયા હતા, તા.20ના તબિયત વધું લથડી હતી, જરૂર હોય તો અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરીએ તેવું પરિવારજનોએ કહેતા ડો.હાર્દિક સંઘાણીએ કહ્યું હતું કે, અન્ય કોઇ હોસ્પિટલમાં લઇ જાવ કે અમેરિકા લઇ જાવ સારવાર તો આ જ થશે, હું કેસ હેન્ડલ કરી લઇશ તેમ કહી સ્વસ્થ થઇ જવાની ખાતરી આપી હતી. ત્યારબાદ કેસ વધુ બગડતાં ડો.હાર્દિકે વોકહાર્ટ હોસ્પિટલના ડો.જીજ્ઞેશ પટેલને બોલાવ્યા હતા અને તેણે સારવાર ચાલું કરી લઇશ પરંતુ તબિયતમાં સુધારો થયો નહોતો. તા.20ની સાંજે ક્રિટિકલ સિચ્યુએશન થઇ જતાં હોસ્પિટલના આઇસીયુમાં ખસેડ્યો હતો અને ત્યાંથી અંતે વોકહાર્ટ હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યાં અડધો કલાકની સારવાર બાદ જયનું મૃત્યુ થયું હતું. સ્કંદ લાઇફ કેર હોસ્પિટલના ડો.સંઘાણી અને ડો.પટેલની લાપરવાહીથી જયનું મૃત્યું થયાનો રેણપરા પરિવારે તત્કાલીન સમયે આક્ષેપ કર્યો હતો પરંતુ પોલીસે કોઇ કાર્યવાહી કરી નહોતી. યુવકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું અને સરકારી મેડિકલ કોલેજની ટીમે તમામ રિપોર્ટ અને સારવાર અંગેની તપાસ કરતાં બંને તબીબોની લાપરવાહી હોવાનો અંતે રિપોર્ટ આપ્યો હતો. મેડિકલ કોલેજના રિપોર્ટ બાદ અંતે પોલીસે ડો.હાર્દિક સંઘાણી અને ડો.જીજ્ઞેશ પટેલ સામે ગુનો નોંધી બંનેની અટકાયત કરવાની કવાયત શરૂ કરી હતી. ડો.સંઘાણીની પત્ની સ્કિનની ડોક્ટર હતી છતાં તે પણ સારવાર કરતી હતી!યુવાન પુત્ર ગુમાવનાર ચાંદનીબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.20ના બપોરે એકાદ વાગ્યે જયની તબિયત લથડતાં રિસેપ્શન કાઉન્ટર પર ગયા હતા. ડો.હાર્દિક સંઘાણીને બોલાવવા કહ્યું હતું, ડો.સંઘાણી હોસ્પિટલમાં હાજર નહોતો થોડીવાર બાદ તેની ડોક્ટર પત્ની હોસ્પિટલે આવી હતી, તે સ્કિનની ડોક્ટર હોવા છતાં ડેંગ્યુના દર્દી જયની સારવાર કરી હતી અને તેણે ઇન્જેક્શન પણ આપ્યું હતું. તેના ઇન્જેક્શન આપ્યા બાદ જયના હાથપગ ઠંડા થવા લાગ્યા હતા અને તેની આંખો બંધ થવા લાગી હતી. બે બેજવાબદાર તબીબોની લાપરવાહીએ એન્જિનિયરની જિંદગીનો અંત આણી દીધોતબીબોની લાપરવાહીથી યુવકના મોત મામલે નવ મહિના બાદ ગુનો નોંધાયો હતો, પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું કે, જય(ઉ.વ.28) તેના માતા પિતાનો એકનો એક પુત્ર હતો, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર જય રેણપરા કાર લેવેંચનો ધંધો કરતો હતો અને જયને ચાર માસનો પુત્ર છે. બે તબીબોની લાપરવાહી અને અજ્ઞાનતાને કારણે આશાસ્પદ યુવક જયની જિંદગીનો અંત આવી ગયો હતો.
કચ્છ યુનિવર્સિટી પ્રજ્ઞાભવન લાઈબ્રેરીમાં છેલ્લા બે વર્ષથી સતત તૈયારી કરતા વિદ્યાર્થીઓએ આ વર્ષે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગૌરવાની સફળતા હાંસલ કરી છે. રીડિંગ હોલમાં અભ્યાસ કરતા 13 વિદ્યાર્થીઓ ગઢવી વનરાજ, ભાગ્ય દાવડા, દિનેશ મહેશ્વરી, ગઢવી ચંદ્રેશ, સાખરા ગોપાલ, વિશ્વદિપસિંહ જા, બાતીયા નારણ, રામાણી શિવરાજ, મિથિલેશ ગઢવી, અરવિંદ ગઢવી, ગેલવા સામત, હભી રબારી અને હિરા રબારીએ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની લોકરક્ષકની પરીક્ષા પાસ કરી પોલીસ વિભાગની નોકરી મેળવવામાં સફળતા મેળવી છે. તબીબી ક્ષેત્રે બે વિદ્યાર્થીઓ દશરથસિંહ સોઢા અને અર્જુનસિંહ રાઠોડે વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ પરીક્ષા(FMGE) પાસ કરી પોતાની પ્રતિભાનું દમદાર પ્રદર્શન કર્યું છે. ન્યાય તંત્રમાં પણ પ્રજ્ઞાભવનના વિદ્યાર્થીઓએ ચમક દાખવી છે જેમાં ભરત ગઢવી અને દિલિપસિંહ પઢિયારે ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ પરીક્ષા પાસ કરી છે. આ ઉપરાંત રસિક મહેશ્વરીએ સબ ટ્રેઝરી ઓફિસર, ગઢવી કનૈયાએ ગ્રાઉન્ડ વોટર ડિપાર્ટમેન્ટની જુનિયર જિયોલોજિસ્ટ (ક્લાસ–3) અને જાડેજા વિશ્વરાજસિંહે CCE ગ્રુપ–B પરીક્ષા પાસ કરી કચ્છ યુનિવર્સિટીના નામે ગૌરવ ઉમેર્યું છે. વિદ્યાર્થીઓની આ સફળતા બદલ લાઈબ્રેરીયન હર્ષદ નિર્મલ, રજીસ્ટ્રાર ડો. અનિલભાઈ ગોર, કુલપતિ ડો. મોહનભાઈ પટેલ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યોએ હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. પ્રજ્ઞાભવન લાઈબ્રેરી દરરોજ સવારના 8 થી રાત્રિના 9 સુધી કચ્છના તમામ વિદ્યાર્થીઓ માટે નિશુલ્ક વાંચન સુવિધા આપે છે. હાઇકોર્ટ આસિસ્ટન્ટ પરીક્ષા પાસ કરી છે. આ ઉપરાંત રસિક મહેશ્વરીએ સબ ટ્રેઝરી ઓફિસર, ગઢવી કનૈયાએ ગ્રાઉન્ડ વોટર ડિપાર્ટમેન્ટની જુનિયર જિયોલોજિસ્ટ (ક્લાસ–3) અને જાડેજા વિશ્વરાજસિંહે CCE ગ્રુપ–B પરીક્ષા પાસ કરી કચ્છ યુનિવર્સિટીના નામે ગૌરવ ઉમેર્યું છે. વિદ્યાર્થીઓની આ સફળતા બદલ લાઈબ્રેરીયન હર્ષદ નિર્મલ, રજીસ્ટ્રાર ડો. અનિલભાઈ ગોર, કુલપતિ ડો. મોહનભાઈ પટેલ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યોએ હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. પ્રજ્ઞાભવન લાઈબ્રેરી દરરોજ સવારના 8 થી રાત્રિના 9 સુધી કચ્છના તમામ વિદ્યાર્થીઓ માટે નિશુલ્ક વાંચન સુવિધા આપે છે.
ચેકિંગ:એસ.ટી.માં કેફી દ્રવ્યોની હેરાફેરીના બનાવો બાદ કચ્છમાં તકેદારીની સૂચના
પંજાબમાં કેફી દ્રવ્યોની લતે ચડેલા યુવાવર્ગ પછી ગુજરાતમાં પણ તેની અસર વર્તાઈ છે, જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે એસ.ટી.ની બસોમાં પણ ગેરકાયદે હેરાફેરીના બનાવો મધ્યસ્થ કચેરીના ધ્યાન આવ્યા છે, જેથી તેમણે આંતર રાજ્ય/ સંઘ પ્રદેશ અને બોર્ડર વિસ્તારમાંથી આવતી બસોનું ક્રૂ દ્વારા વ્યક્તિગત વિશેષ જવાબદારી પૂર્વક તકેદારી રાખવા સૂચના અપાઈ છે. એટલું જ નહીં પણ ચેકિંગ સ્ક્વોર્ડ દ્વારા સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક ચેકિંગ હાથ ધરવા જણાવવામાં આવ્યું છે. તમામ ડ્રાઈવર અને કંડકટરોને ગેરકાયદે પ્રવૃતિ પ્રત્યે પૂરતી ગંભીરતા સમજાય, જાગૃતતા કેળવાય અને ફરજ દરમિયાન પૂરતી તકેદારી દાખવવવા કહેવાયું છે. તે માટે વિભાગીય નિયામક, ડેપો મેનેજર કક્ષાએ યોજાતી બેઠકો યોજી જરૂરી સમજણ આપવા કહેવાયું છે. ડ્રાઈવર અને કંડકટરને પ્રવાસી સાથેના સામાન, લગેજના વજનની પૂરતી પ્રાથમિક ચકાસણી કરવા કહેવાયું છે. જે તે પ્રવાસીને નિયમાનુસાર થતા ચાર્જેબલ લગેજની રકમ પ્રવાસી ટિકિટ સાથે જ વસુલાત કરી બસના તમામ સાથી, બિનસાથી લગેજની માલિક સાથે સંપૂર્ણ ખરાઈ કરવા કહેવાયું છે. જો પ્રવાસી સાથેનો સામાન, ચીજવસ્તુ ગેરકાયદે હોવાનું માલૂમ પડે તો શંકાસ્પદ જણાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અને જે તે સ્થળ પરના ડેપો અધિકારી, સુપરવાઈઝને જાણ કરવાની રહેશે. વ્યસની ડ્રાઈવર, કંડકટરને ફરજ નહીં સોંપાયડેપો કક્ષાએથી વ્યસની કુટેવો ધરાવતા અને અગાઉ સંડોવણી જણાઈ હોય એવા ડ્રાઈવર, કંડકટરને આંતરરાજ્ય/ સંઘ પ્રદેશમાં અને લાંબા અંતરની ફરજો સોંપવામાં ન આવે તેવી સૂચના અપાઈ છે. તે બાબતે ડેપો મેનેજર અને સુપરવાઈઝર ઉપરાંત સંબંધિત તમામ કક્ષાએથી પૂરતી દેખરેખ રાખવા કહેવાયું છે. આંતરરાજ્ય/ સંઘ પ્રદેશ અને બોર્ડર વિસ્તારમાં લાઈન ચેકિંગ સ્ક્વોર્ડ દ્વારા ફરજિયાતપણે બ્રીથ એનાલાઈઝરથી સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવા જણાવવામાં આવ્યું છે.
રાજકોટ શહેરના માધાપર ચોકડીએ બિલ્ડર બાકીર ગાંધીએ જીડીસીઆરના તમામ નીતિ નિયમો નેવે મુકીને બાંધેલા નેક્ષસ બિલ્ડિંગ સામે કાર્યવાહી કરવામાં મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ ‘વહુ સસરાનો ઘૂમટો તાણે’ તે રીતે ઘૂમટો તાણી રહ્યા છે અને 12 વખત આરએન્ડબીનો અભિપ્રાય મેળવ્યા બાદ પૂર્વ ટીપીઓએ આ બિલ્ડિંગ સીલ કરવા છ માસ પૂર્વે નોટિસ પણ કાઢી હતી અને આમ છતાં હવે નેક્ષસને બચાવવા નવા ટીપીઓએ લીગલ અભિપ્રાય માંગતા અનેક સવાલો ઉભા થયા છે. તાજેતરમાં અમદાવાદમાં બીયુ પરમિશન ન ધરાવતી શાળાઓ અને હોસ્પિટલો સહિત 12 બિલ્ડિંગને મહાનગરપાલિકાએ સીલ મારી દીધા હતા જ્યારે રાજકોટની ભાગોળે માધાપર ચોકડીએ બિલ્ડર બાકીર ગાંધીએ ગેરકાયદે ખડકેલા નેક્ષસ બિલ્ડિંગમાં જીડીસીઆરના તમામ નીતીનિયમો નેવે મુકીને બાંધકામ કરાયું હોવા છતાં તેમની સામે કાર્યવાહી કરવામાં મહાપાલિકાના અધિકારીઓ લાજ કાઢી રહ્યા છે અને આ મુદ્દે શાસકો પણ મૌન ધારણ કરીને બેઠા હોય તેમ અધિકારીઓને એક સવાલ પણ પુછતા નથી. મહાનગરપાલિકાની ટીપી શાખાએ કામગીરી ન કરવી પડે તે માટે અત્યાર સુધીમાં 12 વખત આરએન્ડબી વિભાગનો અભિપ્રાય લીધા બાદ પૂર્વ ટીપીઓ કિરણ સુમરાએ નેક્ષસ બિલ્ડિંગને સીલ મારી દેવા આદેશ કર્યો હતો. પરંતુ આ આદેશની અમલવારી પૂર્વ અધિકારી અને વર્તમાન સેન્ટ્રલ ઝોનના ટીપીઓ હેતલ સોરઠિયાએ કરી નથી અને હવે આ મુદ્દે નવા ઇન્ચાર્જ ટીપીઓ આર.ડી.પરમારનો સંપર્ક કરતા તેઓએ લીગલ અભિપ્રાય માગ્યો છે. કમિશનર સાથે ચર્ચા કરીને નિર્ણય લેશું. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આ ગેરકાયદે બિલ્ડિંગ સામે કાર્યવાહી કરવાની શું કમિશનર તુષાર સુમેરાએ ના પાડી છે ? જો તેમણે ના ન પાડી હોય, બિલ્ડિંગ બીયુ પરમિશન ધરાવતું નથી ત્યારે તેને સીલ કરવા શેની ચર્ચા ટીપીઓને કરવાની છે? આ પ્રકરણમાં સુપ્રીમ કોર્ટના આદેશનો પણ ભંગ થતો હોય આગામી દિવસોમાં હાઇકોર્ટમાં જાય તેવા સંકેતો મળી રહ્યા છે.
રાજકોટ શહેરમાં શુક્રવારે બપોરે બનેલી એક ઘટના કંપારી છોડાવી દે તેવી છે, સમાજનો રક્ષક જ ભક્ષક બન્યો હતો, એસઆરપી ગ્રૂપ-13ના હેડ કોન્સ્ટેબલે 7 વર્ષની બાળકી સાથે અડપલાં કર્યા હતા, ડરી ગયેલી બાળકી કબજામાંથી છૂટીને ઘરે પહોંચી હતી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી. શહેર પોલીસે પણ આ એસઆરપી જવાનને બચાવવામાં કસર છોડી નહોતી, બાળકીના પરિવારજનો આબરૂ જવાના ભયથી ફરિયાદ કરવા તૈયાર થયા નહોતા. શહેરના યુનિવર્સિટી રોડ વિસ્તારમાં રહેતી 7 વર્ષની બાળકી બપોરે સાડાત્રણ વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે ઉભી હતી ત્યારે એસઆરપી ગ્રૂપ-13નો હેડ કોન્સ્ટેબલ 55 વર્ષનો રાજભા જી. જાડેજા ત્યાંથી પસાર થયો હતો અને બાળકીને પોતાની પાસે બોલાવી હતી, એસઆરપી જવાનને પાણી જોઇતું હશે તેમ સમજી બાળકી તેની પાસે ગઇ હતી, બાળકી નજીક આવતા જ એસઆરપીમેન અત્યંત ઉત્તેજિત થઇ ગયો હોય તેમ બાળકીને ભેટી ગયો હતો અને અડપલાં શરૂ કરી દીધા હતા. માનવતા દાખવીને 55 વર્ષની વયના એસઆરપીમેન જાડેજા પાસે ગયેલી બાળકી સમગ્ર ઘટનાથી ડઘાઇ ગઇ હતી, એસઆરપીમેન રાજભા કામુક હરકતો કરવા લાગ્યો હતો, થોડી ક્ષણોમાં બાળકી તેના સકંજામાંથી છૂટીને દોડીને પોતાના ઘરમાં જતી રહી હતી અને તેની માતાને ભેટીને રડવા લાગી હતી, વહાલસોયી પુત્રીને કંઇક લાગ્યું હશે કે તેનાથી કંઇક ભૂલ થઇ હશે, જેથી તે રડતી હશે તેવું જનેતાને એક તબક્કે લાગ્યું હતું, તેણે પુત્રીને શાંત કરી વિશ્વાસમાં લઇને પૃચ્છા કરી ત્યારે બાળકીએ આપવીતી વર્ણવી હતી. પોતાની ફુલ જેવી બાળકી પર સમાજની સુરક્ષા જેના પર છે તે એસઆરપીમેને દાનત બગાડ્યાનું સાંભળી જનેતાના પગતળેથી જાણે જમીન સરકી ગઇ હતી, તે સ્તબ્ધ થઇ ગયા હતા, પુત્રીને તથા પાડોશીઓને લઇને તે એસઆરપીમેન રાજભા જાડેજા પાસે પહોંચ્યા હતા, અભદ્ર વ્યવહાર કરનાર એસઆરપીમેન જાડેજા પણ સ્થિતિ પામી ગયો હતો, તેના પગ ધ્રુજવા લાગ્યા હતા, તે માફી માગવા લાગ્યો હતો, અને મોકો મળતાં જ એસઆરપીમેન રાજભા ત્યાંથી નાસી ગયો હતો. વિસ્તારના લોકોએ 112ને ફોન કરતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી, બાળકી, તેના માતા-પિતા અને વિસ્તારના લોકો પોલીસ મથકે પહોંચ્યા હતા, ઘટનાને પગલે એસઆરપી ગ્રૂપ-13ના પીએસઆઇ જાડેજા અને એક પીઆઇ પણ પોલીસ સ્ટેશને દોડી ગયા હતા, એસઆરપીના અધિકારીઓએ બાળકીના પરિવારજનો પાસે માફી માગી હતી, સ્થાનિક પોલીસે બાળકીનું તબીબી પરીક્ષણ થશે, કોર્ટમાં ધક્કા થશે, આબરૂ જશે તેવી સમજણ આપી પરોક્ષ રીતે ફરિયાદથી દૂર રહે તેવા પ્રયાસો કર્યા હતા. બાળકીની માતાએ પણ ‘દિવ્ય ભાસ્કર’ સમક્ષ કહ્યું હતું કે, એસઆરપીમેન રાજભા જાડેજાએ કરેલા કરતૂત ક્ષમાને લાયક નથી, પરંતુ સમાજમાં આબરૂ જશે અને કોર્ટના ધક્કા થાય તેવી ભીતિથી ફરિયાદ કરી નહોતી. અત્રે ઉલ્લેખનીય છે કે, જસદણ પંથકમાં સાત વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ સફળ નહીં થતાં નરાધમે બાળકીના ગુપ્તાંગમાં એક ફુટ લોખંડનો સળિયો ઘુસાડી દીધો હતો. આ પ્રકરણમાં રાજકોટ જિલ્લા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને પકડી લઇ સ્થળ પર લઇ ગઇ હતી અને ત્યાં આરોપીએ પોલીસ પર હુમલો કરતાં જ બે પોલીસ અધિકારીએ ફાયરિંગ કરી બે ગોળી આરોપીના પગમાં ઘુસાડી દીધી હતી, જિલ્લા પોલીસની આ કામગીરીથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે શહેર પોલીસે આવા જ કરતૂત કરનાર સામે ફરિયાદ નહી નોંધી લોકોના આક્રોશનો ભોગ બની છે. ઘટના બની હતી પરંતુ પીડિતાના પરિવારજનોએ ફરિયાદ નોંધવાની ના કહી: પીઆઇ પટેલયુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.એન. પટેલે ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, બપોરે પીસીઆર વેન સ્થળ પર ગઇ હતી, પીડિત બાળકી અને તેના પરિવારજનો પોલીસ સ્ટેશને આવ્યા હતા અને આવી ઘટના બન્યાની વાત કરી હતી. એસઆરપી ગ્રૂપ-13ના અધિકારીઓ પણ આવ્યા હતા પરંતુ બાળકીના પરિવારજનોએ ફરિયાદ કરવાની ના કહેતા ગુનો નોંધવામાં આવ્યો નથી.
ગર્ભમાં બાળકનું મોત થતા એબોશન કરાવ્યું હતું:ચકાર(કોટડા)ની વાડીમાં ભૂલથી દવા પી લેનાર પરિણીતાનું મોત
તાલુકાના ચકાર(કો) ગામની વાડીમાં ભૂલથી ઘાંસ બાળવાની દવા પી જનાર 20 વર્ષીય પરિણીતાના ગર્ભમાં રહેલા ૩ માસના બાળકનું મોત થયા બાદ સારવાર દરમિયાન પરિણીતાએ પણ દમ તોડ્યો હોવાની ઘટના સામે આવી છે. પદ્ધર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મુળ દાહોદ અને હાલ ચકાર(કો)ની વાડીમાં રહેતી 20 વર્ષીય દિશાબેન ઉમેશભાઈ ચરપોટનું દવા પી લેવાથી મોત નીપજ્યું છે. બનાવ 4 ડીસેમ્બરના આઠ વાગ્યાના અરસામાં બન્યો હતો.હતભાગી પરિણીતા વાડી પર એકલી હતી ત્યારે ભૂલથી ઘાંસ બાળવાની દવા પી લીધી હતી.બનાવ બાદ તાત્કાલિક તેને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી.જ્યાંથી 6 ડીસેમ્બરના લુણાવાડાની લીલાવતી હોસ્પિટલમાં ખસેડ્યા બાદ તબીબાય વધુ બગડતા 7 ડીસેમ્બરના ગોધરાની સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી.જ્યાં પરિણીતાના ગર્ભમાં રહેલું બાળક મૃત્યુ પામતા અબોશન કરવામાં આવ્યું હતું. જે બાદ 11 ડીસેમ્બરના અગિયાર વાગ્યાના અરસામાં પરિણીતાએ પણ દમ તોડી દીધો હતો.સમગ્ર મામલે તપાસ કરનાર ડીવાયએસપી એમ.જે.ક્રિશ્ચન સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે,બનાવ બાદ ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર તળે રહેલી પરિણીતાનું ડીડી લેવામાં આવ્યું હતું જેમાં પોતે ભૂલથી દવા પી ગઈ હોવાનું જણાવ્યું હતું.હાલ આ મામલે પદ્ધર પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
વાહનોની સંખ્યા વધી છે:વાહનોની LED લાઇટ યુવાઓની આંખો વિંધે છે
છેલ્લા એક દાયકામાં વાહનોની સંખ્યા સરેરાશ ઉત્તરોતર વધી છે. જેમ વપરાશ વધ્યો તેમ સગવડતાઓ અને આધુનિક ટેકનોલોજી પણ ઉમેરાતી ગઈ. ઑટો કંપની દ્વારા વધુ સ્પષ્ટ વિઝન મળે તે માટે એક લેવલથી ઉંચા મોડેલમાં વ્હાઇટ હેડ લાઇટ ફીટ કરવામાં આવે છે. જે કંપની ફિટેડ હોવાથી કાયદેસર હોવાની તેમજ તેના લેમ્પ બીમ એવી રીતે ગોઠવવામાં આવે છે કે સામે આવતા વાહન ચાલેકને આંખ આજે નહીં પરંતુ મોડીફાઇડ કરેલી એલઇડી લાઇટ જે લગાડવામાં આવે છે તે સામે આવતા વાહન ચાલકને અંધ બનાવી દે છે. આ પ્રકાશ અકસ્માતનું કારણ પણ બને છે. સફેદ એલઇડી કાયદેસર છે કે નહીં તે બાબતે પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક પીઆઈ જે.ડી. સરવૈયાને પૂછતા તેમણે જણાવ્યું કે કોઈપણ વાહનમાં મોડીફાઇ કરીને લગાવવામાં આવેલી સફેદ એલઈડી ગેરકાયદેસર જ છે. અમે તેના પર સખત કાર્યવાહી કરીએ છીએ. સરેરાશ માસિક 300 થી વધુ વાહન ચાલકોને પેનલ્ટી કરવામાં આવે છે. રાજ્ય સરકારે 5000 રૂપિયા દંડ નિયત કર્યો છે. ખરેખર વાહન ચાલકોએ પણ સામેની વ્યક્તિ માટે ગંભીરતાથી વિચારીને એક્સ્ટ્રા લાઈટ ફીટ કરાવવી જોઈએ નહીં. ભુજ ખાવડા રોડ પર ચાલતા મોટા ટ્રેલરમાં એક્સ્ટ્રા લાઈફ ફીટ કરાવતા તેના પર કડક કાર્યવાહી કરતાં હવે 90% જેટલી ગાડીઓમાં સફેદ વધુ પ્રકાશિત એલ.ઇ.ડી. લગાવવાની બંધ થઈ છે. કંપની દ્વારા ફીટ કરવામાં આવતી સફેદ એલઇડી માટે દરેક કંપનીઓ વિવિધ મોડેલમાં જે લાઈટ ફીટ કરે છે તે કાયદેસર અને બીમ લેવલ એવી રીતે ગોઠવેલી હોય છે કે સામે આવતા વાહન ચાલકને આંજી નાખે છે. ઉલ્લેખનીય છે કે પોલીસ વિભાગની ટ્રાફિક શાખા દ્વારા સતત પ્રક્રિયા ચાલતી હોવા છતાં પણ અનેક ગાડીઓ જોવા મળે છે. વાત માત્ર પોલીસ કાર્યવાહીની નથી ચાલકની સમજદારીની પણ છે. મોટેભાગે નાઇટ ડ્રાઇવિંગ કરવાની હોય, સફેદ એલઇડીને કારણે અકસ્માતનો ભય લાગે છેઆહિર પટ્ટી એટલે ભુજ ભચાઉ રાજ્ય માર્ગ. અમારે ગામમાં વાડી વિસ્તારના કામ પતાવીને રાત્રે નીકળતી વખતે સામે આવતા મોટા ટ્રેલરમાં લાગેલી વધુ પ્રકાશિત એલઇડી લાઇટથી આંખ અંજાઈ જાય છે. તેમજ અકસ્માતનો ડર લાગે છે. વાસ્તવમાં પોલીસ કાર્યવાહી પેનલ્ટી ઉપરાંત છ મહિના માટે ડિટેઇન કરવામાં આવે તો જ સમજ આવે. – મુકેશ આહીર, મખણા રજીસ્ટ્રેશન રદ કરવા સુધીની કાર્યવાહી કરવી જોઈએછેલ્લા 20 વર્ષથી ખાનગી ગાડી ડ્રાઇવિંગનો મારો વ્યવસાય છે. રસ્તાઓ ખરાબ હોવા તે જૂની વાત છે પરંતુ હવે સૌથી વધુ સતાવતો પ્રશ્ન હોય તો વ્હાઇટ એલઇડી લાઇટ છે. મોટેભાગે કંપની ફિટેડ લાઈટ ધરાવતી કાર કોઈ આપત્તિ નથી થતી પરંતુ મોટા ટ્રેલર જે વધારાની લાઈટ લગાવી અને ચાર કે છ લાઈટ સામે આવે ત્યારે રસ્તો જરા પણ નથી દેખાતો. ખરેખર તો આવી ગાડીને ડિટેઇન કરવાને બદલે રજિસ્ટ્રેશન રદ કરવું જોઈએ. –પ્રવીણ ઠક્કર, ભુજ
1 માસ વેતન જેટલું પણ વધુમાં વધુ 7000 ચૂકવાશે:બોલો, એસ.ટી. વર્ગ-4ને દિવાળી બોનસ ડિસેમ્બર માસમાં આપશે!
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે એસ.ટી.એ વર્ષ 2024/25 માટે વર્ગ-4ના કર્મચારીઓને દિવાળી બોનસ છેક ડિસેમ્બરમાં આપવા નિર્ણય લીધાની ઘટના બની છે! ભારતમાં દિપોત્સવી મહોત્સવનો ભારે મહત્ત્વ છે, જેમાં લોકો, ઘર એઆસજાવટ, નવા પગરખા, કપડા ખરીદવા, મિઠાઈ ખરીદવી સહિતના ખર્ચ કરતા હોય છે, જેથી તેમને નિયમિત માસિક આવક ઉપરાંત રકમની જરૂરિયાત જણાય છે. મોટાભાગની સરકારી, બિનસરકારી સંસ્થાઓ દ્વારા દિવાળી પહેલા નીતિ નિયમ મુજબ બોનસ ચૂકવી દેતી હોય છે. પરંતુ, આશ્ચર્યજનક અને હાસ્યાસ્પદ રીતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે એસ.ટી.એ 2025ની 8મી ડિસેમ્બરે વિભાગીય નિયામકને પત્ર લખ્યો છે, જેમાં નિગમના વર્ગ-4 કર્મચારીઓને વર્ષ 2024/25 માટે દિવાળી બોનસ ચૂકવવા સૂચના આપી છે. વધુમાં જણાવાયું હતું કે દરખાસ્ત આવી હતી, જેથી મંજૂરી આપવામાં આવી છે. 2025ની 31મી માર્ચના રોજ નોકરીમાં ચાલુ હોય તેમને 2024/25 માટે જે તે વર્ષ દરમિયાન જેમણે ઓછામાં ઓછી 6 માસની સળંગ નોકરી કરી હોય તે કર્મચારીને ચૂકવાશે. 30 દિવસના વેતન એન વધુમાં વધુ 7000 રૂપિયા સુધી ચૂકવવા જણાવાયું છે. વળી રકમ જે તે વિભાગે ચૂકવવાની રહેશે.
કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા દેશના તમામ રાજ્યોમાં SIRની કામગીરી ચાલી રહી છે અને તે મુજબ રાજકોટ શહેર-જિલ્લામાં પણ SIRની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે ત્યારે રાજકોટ જિલ્લા ચૂંટણીતંત્રે કરેલી કામગીરી શંકાના દાયરામાં આવી ગઇ છે. રાજકોટ મહાનગરપાલિકાના અધિકૃત ચોપડાઓ મુજબ વર્ષ 2002થી ઓગસ્ટ-2025 સુધીમાં શહેરમાં કુલ 3,18,525 લોકોના મૃત્યુ થયા છે જ્યારે ગત તા.8 ડિસેમ્બર,2025ના રોજ રાજકોટ જિલ્લા ચૂંટણીતંત્રે રાજકીયપક્ષો સાથે યોજેલી બેઠકમાં શહેરમાં મૃત્યુ પામેલા મતદારોની સંખ્યા માત્ર 53117 હોવાનું જાહેર કર્યું છે. આમ મહાનગરપાલિકા V/s મતદારયાદીના આંકડા જોઇએ તો બન્ને વચ્ચે 2,65,408 મૃતકોની સંખ્યાની વિસંગતતા છે. રાજકોટ શહેરમાં 2002થી 2025 સુધીમાં 3,18,525 લોકોના મૃત્યુ થયા છે. જેમાં તમામ મૃત્યુ સ્થાનિક નાગરિકોના જ થયા હોય કે મતદારોના જ થયા હોય તેમ નથી. આમાં બાળમૃત્યુ, અન્ય જિલ્લાઓમાંથી કે બીજા રાજ્યોમાંથી રોજગારી કે સારવાર માટે આવેલા અને સ્થળાંતર પામેલા લોકોનો સમાવેશ થાય છે પરંતુ તે આંકડો બાદ કરીએ તો પણ જિલ્લા ચૂંટણીતંત્રે જાહેર કરેલા આંકડા અનેકસવાલો ઉભા કરે છે. જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા મૃત્યુ પામેલા મતદારોની વર્ષવાર યાદી પણ તૈયાર કરી નથી તેમજ કયા વિધાનસભાના કેટલા મતદારો કયારે મૃત્યુ પામ્યા છે તેની વિગતો પણ જાહેર ન કરતા અનેક સવાલો રાજકીયપક્ષો સાથેની બેઠકમાં ઉભા થયા હતા. આ મામલે રાજકીયપક્ષોએ બેઠકમાં સવાલ ઉઠાવતા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી નારણ મૂછાળે રાજકીયપક્ષોને પણ મહાનગરપાલિકામાંથી આંકડા લીધા છે અને વધુ માહિતી ઉપલબ્ધ ન હોવાનું જણાવી દેતા આગામી દિવસોમાં આ મુદ્દે વિવાદ વકરે તેવા પૂરતા સંકેતો મળી રહ્યા છે. આ રીતે સમજો આંકડાનું ગણિતશહેરમાં 22 જન્મ સામે 8 મૃત્યુનો રેશિયોશહેરમાં 22 જન્મ સાથે 8 મૃત્યુનો રેશિયો છે. છેલ્લા 24 વર્ષમાં 3,18,525 લોકોના મૃત્યુ થયા છે. જો રેશિયો મુજબ ગણતરી કરીએ તો પણ છેલ્લા 24 વર્ષમાં 18 થી 20 હજાર બાળમૃત્યુ થયા હોઇ શકે. જ્યારે અન્ય જિલ્લા અને અન્ય રાજ્યના મૃતકોની ગણતરી કરીએ તો પણ તે આંકડો દર વર્ષે વધુમાં વધુ 500થી 1000 વચ્ચે હોઇ શકે તેનાથી વધી શકે નહીં. જે બન્ને આંકડાઓ બાદ કરીએ તો બાકીના મતદારો મૃત્યુ પામ્યા તેમ કહી શકાય. આ બન્ને આંકડાઓ સાથે ગણીએ તો પણ 30 થી 40 હજાર લોકોને બાદ કરતા બાકીના 2.25 લાખ લોકોના આંકડાની વિસંગતતા બાબતે તંત્રે સ્પષ્ટતા કરવી જોઇએ. તેમજ મહાનગરપાલિકાના ચોપડેથી મતદાર મૃત્યુના આંકડા લીધા હોય તો કેટલા મતદારો કઇ સાલમાં મૃત્યુ પામ્યા, કઇ વયમર્યાદાના મતદારો મૃત્યુ પામ્યા સહિતની વિગતો વ્યવસ્થિત રીતે જાહેર કરવી જોઇએ અને જો તે તંત્ર પાસે ન હોય તો તે બાબતે ઊંડી તપાસ કરી રિપોર્ટ કરવો જોઇએ જેથી કોઇ વિસંગતતા રહે નહીં. 20 દિવસ પહેલા જિલ્લા ચૂંટણીતંત્રની રાજકીયપક્ષો સાથેની રાજકોટમાં મળેલી બેઠક બાદ આંકડામાં ઝડપી વધારો થયોરાજકોટ જિલ્લા ચૂંટણીતંત્રે રાજકીય પક્ષો સાથે પ્રથમ બેઠક 27-11-2025ના રોજ બેઠક યોજી હતી જેમાં EF ડિજિટાઇઝેશન પ્રોગ્રેસ રિપોર્ટમાં રાજકોટ શહેરમાં 39338 મૃતક મતદારોના નામ કમી કરવા કાર્યવાહી હાથ ધર્યાની વિગતો જાહેર કરી હતી. ત્યારે રાજકીય પક્ષોએ સંખ્યા બાબતે વાંધો ઉઠાવી લેખિત રજૂઆત કરતા તા.8-12-2025ના રોજ બીજી બેઠકમાં આ આંકડો સીધો જમ્પ થયો હતો અને શહેરમાં મૃતક મતદારોની સંખ્યા વધીને 53117 થઇ ગઇ હતી. આમ માત્ર 11 દિવસમાં 13779 મૃત મતદારોની સંખ્યા વધી ગઇ હતી. જે પણ ચૂંટણીતંત્રની શંકાસ્પદ કામગીરીને સમર્થન પૂરું પાડે છે. મહાનગરપાલિકામાં વર્ષવાઇઝ મૃત્યુ પામેલા લોકોની સંખ્યા
શિક્ષકોની બદલી:કચ્છની સરકારી પ્રા. શાળાઓમાંથી જિલ્લાફેર બદલીવાળા 541 શિક્ષકો વતન ભણી જશે
કચ્છ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાંથી ધોરણ 1થી 5ના 328 અને ધોરણ 6થી 8ના 213 મળીને કુલ 541 જિલ્લાફેર બદલી મંજૂરીવાળા શિક્ષકો વતન ભણી જશે. સરકારી પ્રાથમિક શાળાઓમાં નોકરી મેળવ્યા બાદ યેનકેન પ્રકારે જિલ્લા બહારના શિક્ષકો બદલી કરાવીને ચાલ્યા જાય છે, જેથી કચ્છની શાળાઓમાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન દાયકાઓથી ચિંતાનો વિષય રહ્યો છે. જે પ્રશ્ને દિવ્ય ભાસ્કરે વિદ્યાર્થીઓ અને વાલીની સમસ્યાને વાચા આપતા અહેવાલ પ્રગટ કર્યા હતા. જે બાદ જિલ્લા પંચાયત સ્થિત જિલ્લા શિક્ષણ સમિતિએ જિલ્લાફેર બદલી મંજૂરીવાળા શિક્ષકોને છૂટા ન કરવાનો નિર્ણય લીધો હતો. જેના પગલે કચ્છ માટે નિમણૂક ત્યાં નિવૃતિની શરતે ખાસ ભરતી થઈ હતી. પરંતુ, પૂરતા શિક્ષકો મળ્યા નથી. જોકે, જ્ઞાન સહાયકની ભરતીથી ઘટ પૂરવાનો પ્રયાસ થયો હતો. તોય ઘટનો પ્રશ્ન રહ્યો હતો. જે દરમિયાન જિલ્લાફેર બદલીવાળા શિક્ષકોને ડિસેમ્બરના અંતે છૂટા કરવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ, ગાંધીનગરથી નિયામકે આંતર જિલ્લા બદલી કેમ્પ જાહેર કરતા ઘટની સમસ્યા વકરે અેવી ભીતિથી જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેને ધોરણ 6થી 8ના શિક્ષકોને છૂટા ન કરવાનો હુંકાર કર્યો હતો. પરંતુ, છેવટે શિક્ષક સંગઠન અને નિયામક પાસે ઝૂકી ગયા હતા અને તમામને છૂટા કરવા નિર્ણય લીધો હતો. રાપરમાં સાૈથી વધુ 125 છૂટા થશેજિલ્લા બહારના શિક્ષકો પશ્ચિમ કચ્છ કરતા પૂર્વ કચ્છના ગામડામાં વધુ પસંદ કરતા હોય છે, જેથી જ્યારે જિલ્લાફેર બદલી મંજૂરી મેળવનારાને છૂટા કરવાનો વખત આવે ત્યારે ભચાઉ અને રાપરમાં સારી એવી સંખ્યામાં હોય છે. અત્યારે પણ રાપરમાં 125, ભુજમાં 81, નખત્રાણામાં 80 અને ભચાઉમાં 71નો આંકડો સાૈથી મોટો છે. જ્યારે ગાંધીધામમાં સાૈથી ઓછા માત્ર 5 છે.
ED દ્વારા દરોડા:કફ સિરપના ઉત્પાદન, વેપારના કૌભાંડમાં ઇડીના અમદાવાદ સહિત 7 શહેરમાં દરોડા
ગેરકાયદે કોડીન કફ સિરપના વેપાર સામે ઇડીએ આજે અભિયાન ચલાવી 25 સ્થળે દરોડા પાડ્યા હતા. અમદાવાદથી ઝારખંડ, યુપી, રાંચી, સહારનપુર, લખનઉ, જૌનપુર અને વારાણસી સુધી કેટલાંક રાજ્યોમાં એકસાથે દરોડા પાડીને નેટવર્કને ઝડપી પાડ્યું છે. કફ સિરપના ઉત્પાદન અને હેરફેરમાં સંડોવાયેલા મુખ્ય આરોપી શુભમ જયસ્વાલ, આલોક સિંહ, અમિત સિંહ અને તેમની સાથે સંકળાયેલા અન્ય લોકોનાં નિવાસસ્થાનો અને ગોડાઉન પર ઇડીએ તપાસ હાથ ધરી કોડીન આધારિત કફ સિરપના ઉત્પાદનથી માંડીને જથ્થાબંધ પરિવહન અને ટ્રેડિંગ સુધીની ચેઇન ઉખેડવાનું અભિયાન તેજ કરાયું છે. તેમાં અત્યાર સુધી 30 FIR નોંધાઈ છે, જેના આધારે ઇડીનું આ ઑપરેશન શરૂ કરાયું છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશના લખનઉ, વારાણસી, ગાઝિયાબાદ, સોનભદ્ર અને સહારનપુરમાં સૌથી વધુ દરોડા પડાયા હતા. મુખ્ય આરોપી શુભમ દુબઈ ભાગી ગયો હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે જ્યારે તેના પિતા ભોલાપ્રસાદ સહિત કુલ 33ની ધરપકડ યુપી પોલીસે કરી છે. ઉત્તરપ્રદેશ સરકારે SITની રચના કરી છે. દેશની જુદી-જુદી રાજ્યોમાં ફેલાયેલા આ કફ સિરપ રેકેટના પડછાયા દિવસે ને દિવસે મોટા બની રહ્યા છે અને દરોડાઓ હવે વધુ વિસ્તૃત થઈ શકે છે એવી અટકળો મંડાઈ રહી છે.
ઠગ ઝડપાયો:જામનગરમાં 4 કરોડ ઠગનાર શખસ અમદાવાદથી ઝડપાયો
જામનગરમાં ગ્રામ પંચાયતોના કામમાં કમાણીની લાલચ આપી 18 લોકો પાસેથી 4 કરોડ પડાવનાર આરોપી અમદાવાદથી ઝડપાઇ ગયો. અશ્વિનભાઈ વારા (41) નામના કોન્ટ્રાક્ટરનો એકાદ વર્ષ પહેલા મિત્ર થકી મનસીલ હર્ષદભાઈ કોયા સાથે સંપર્ક થયો હતો. યુવાને કટકે-કટકે મનસીલને રૂ.48.50 લાખ આપ્યા હતા. જાણવા મળ્યું હતું કે મનસીલે 15 લોકો સાથે 2.48 કરોડની ઠગાઈ કરી છે. દરમિયાન મહિસાગરમાં 15.26 લાખના ફ્રોડ મામલે પણ 3 આરોપી મોહમદ ઉર્ફે મોનુ પરવેઝ શેખ (બાપુનગર), શાહનવાજ હુસેન સૈયદ (દરિયાપુર)અને તોકીર અહેમદ શેખ (ગોમતીપુર) અમદાવાદથી ઝડપી પાડયા હતા. વધુ તપાસમાં ચાઈનીઝ સાયબર ફ્રોડ ગેંગ સાથેના સંબંધો ખુલ્યા છે.
સરકારનો નિર્ણય:વી.સી.ઇ.ને હવે સરકારી કામગીરી માટે રૂ.16ને બદલે રૂ. 20 મળશે
રાજયના ગ્રામ્ય વિસ્તારના વિવિધ 200 જેટલી કામગીરીમાં દરેક કામગીરી પેટે કમિશન મેળવીને કામ કરતા આશરે 16135 વીલેજ કોમ્પ્યુટર સાહસિક (V.C.E.)ના યુનિટ દીઠ એટલે કે,એક કામગીરી બદલ રૂ. 4નો વધારો કરીને હવે 1થી રૂ. 16ને બદલે રૂ. 20 કમિશન આપવાનો નિર્ણય સરકારે લીધો છે. આમ તો ગ્રામ પંચાયતમાં તલાટીની ભુમિકા મહત્વની હોય છે, પણ તલાટી કરતા પણ વધારે ઓનલાઇન કામગીરી વી.સી.ઇ.ની માથે હોવાનો દાવો વી.સી.ઇ. કરી રહ્યા છે.આથી તેમણે રૂ.50 યુનિટદીઠ કામગીરી કરવાની માગ કરી હતી, પરંતુ સરકારે યુનિટ દીઠ રૂ. 20 આપવાનું નક્કી કર્યુ છે. રાજયમાં ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજના અંતર્ગત ઇ-સેવાઓ વી.સી.ઇ.પુરી પાડે છે. જેમાં સાત-બારના, 8-અના દાખલા, હક્કપત્રકની નકલ, ખેડૂત રજીસ્ટ્રેશન, વિવિધ ખેતપેદાશોની ટેકાના ભાવે ખરીદી, જન્મ-મરણના દાખલા, આવકનું પ્રમાણપત્ર, રેશનકાર્ડમાં સુધારા-વધારા કરવાના ફોર્મ ભરવા જેવી સેવાઓનો સમાવેશ થાય છે. જેમાં સાત-બાર જેવા દાખલા માટે રૂ. 1 મહેનતાણું મળતું હતું, પરંતુ વિવિધ સરકારી કામગીરીની અરજી કરવા માટે રૂ. 16ની રકમ મળતી હતી. જૂદા જૂદા વિભાગો દ્વારા નિયત કરવામાં આવતી મહેનતાણાની રકમ અલગ હતી, એટલે અમુક કામગીરીમાં રૂ.1 તો અમુક કામગીરીમાં રૂ.16 મળતા હતા. આ બાબત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ધ્યાનમાં આવતા તેમણે આ આદેશ આપ્યો હતો. વી.સી.ઇ.જમીન દલાલીના કામો કરી સમૃધ્ધ થઇ ગયાઅમદાવાદ-ગાંધીનગર, રાજકોટ, સુરત જેવા મોટા શહેરોની આસપાસની ગ્રામ પંચાયતના વી.સી.ઇ.જૂદી જૂદી કામગીરી બદલ સમૃધ્ધ થઇ ગયા છે. તેઓ સરકારી કામગીરી સાથે જમીન દલાલી,એન.એ.જેવી કામગીરીના જાણકાર થઇ ગયા હોવાથી તેની કામગીરી પણ કરી રહ્યા હોવાનું સુત્રોનું કહેવું છે. આથી તેઓ સમૃધ્ધ થઇ ગયા છે.જો કે,નાની ગ્રામ પંચાયતના વી.સી.ઇ. 8થી 10 હજાર મહિને માંડ માંડ કમાય છે,કારણ કે,નાની ગ્રામ પંચાયતમાં દરરોજ આવી કામગીરી આવતી નથી.
ભાસ્કર એક્સક્લુસિવ:કચ્છના 2.14 લાખ મતદારોના નામ કમી કરાશે
ચૂંટણી પંચે ગુજરાત સહીત 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ખાદ મતદાર યાદી સુધારણા (એસઆઈઆર)ની સમયસીમા વધારી છે. ગુજરાતમાં હવે આ સરવે 14 ડિસેમ્બર સુધી ચાલશે અને ડ્રાફ્ટ મતદાર યાદી 19 ડિસેમ્બરે જાહેર થશે. જો કે કચ્છ જિલ્લામાં સમયસીમા પૂર્વે જ એસઆઈઆરની 100 ટકા કામગીરી પૂર્ણ થઇ ગઈ છે. આ કામગીરી બાદ સામે આવેલા આંકડા ચોંકાવનારા છે. કારણ કે કચ્છ જિલ્લામાં હાથ ધરાયેલ કાર્યવાહીમાં 2,14,019 મતદારોના નામને માર્ક કરવામાં આવ્યા છે, પ્રથમ ડ્રાફ્ટ યાદીમાંથી આ મતદારોના નામ રદ્દ કરવામાં આવશે. 4 નવેમ્બરથી એન્યુમરેશન ફોર્મ આપવાની શરૂઆત થઇ હતી. બીએલઓ દ્વારા ઘરે ઘેર જઈને ફોર્મનું વિતરણ કર્યું હતું. અને 15 દિવસ બાદ મતદારોએ ભરેલા ફોર્મને પરત મેળવીને બીએલઓ દ્વારા ડીજિટાઈઝેશનની કામગીરી હાથ ધરી હતી. જેમાં કચ્છના 2.14 મતદારોના નામ કમી થશે તેવી વિગતો સામે આવી છે. કચ્છ જિલ્લામાં નોંધાયેલા 16,90,584 મતદારો માટે પ્રકિયા હાથ ધરવામાં આવી હતી. ચુંટણી વિભાગ દ્વારા કરાયેલ કામગીરીમાં 1,25,901 મતદારોએ કાયમી સ્થળાંતર કર્યું છે. જયારે 55,276 મતદારોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે. જયારે 19,675 મતદારો એવા છે, જેમના ઘેર બીએલઓ દ્વારા ૩ વખત મુલાકાત લેવામાં આવી હતી, પણ તેઓ ઘેર હાજર મળી આવ્યા ન હતા. 12,310 મતદારોના નામ બે જગ્યાએ નોંધાયેલા હતા, ઉદાહરણ તરીકે કોઈ મતદારનું નામ ભુજમાં નોંધાયેલ છે અને મુંબઈમાં પણ નોંધાયેલો હતો, તેવા મતદારોએ અહી પોતાનું એન્યુમરેશન ફોર્મ ભર્યું નથી, જયારે બાકી રહેલા એટલે 14,76,656 મતદારોનું 100 ટકા ડીજિટાઈઝેશન પૂર્ણ થઇ ગયું છે. હવે જયારે 19 ડીસેમ્બરના પ્રથમ ડ્રાફ્ટ યાદી જશે કરવામાં આવશે તેમાંથી કચ્છના 2,14,019 મતદારોના નામને કમી કરી દેવામાં આવશે. એટલે હવે કચ્છ જિલ્લામાં 16,90,584 મતદારોમાંથી 14,76,656 મતદારો કાયમી રહેશે. ગાંધીધામમાંથી સૌથી વધુ મતદારોના નામ કમી થશેખાસ મતદાર યાદી સુધારણામાં કચ્છના કુલ 2,14,019 મતદારોના નામ કમી થવાના છે જેમાં સૌથી વધુ મતદાર ગાંધીધામ વિધાન સભા વિસ્તારના છે. આ સુધારણા પૂર્વે ગાંધીધામમાં કુલ 3,18,016 મતદારો હતા. પણ તેમાંથી 51,779 મતદારોના નામ કમી થશે. જેનું સૌથી મોટી કારણ એ છે કે ગાંધીધામમાં લાખોની હજારોની સંખ્યામાં પરપ્રાંતીય લોકો વસવાટ કરે છે. નોકરી ધંધામાં માટે સ્થાઈ થયેલા પર પ્રાંતીય લોકો થોડા વર્ષો બાદ પોતાના વતન કે અન્ય સ્થળે સ્થળાંતર કરી જતા હોય છે. જેથી ગાંધીધામ મતવિસ્તારમાંથી કચ્છમાં સૌથી વધુ મતદારોના નામ નીકળી જશે. હવે કચ્છમાં 2019 લોકસભા જેટલા મતદારો વધશેએસઆઈઆરની પ્રકિયા દરમ્યાન કચ્છમાંથી 2 લાખ 14 હજાર 19 મતદારોના નામ કમી થયાની સાથે જ જિલ્લામાં નોંધાયેલા કુલ 16,90,584 મતદારોમાંથી 14,76,656 મતદારો કાયમી રહેશે. વર્ષ 2019 ની લોકસભા ચુંટણી સમયે ચુંટણી આયોગની વેબસાઈડ પર કચ્છના કુલ 14,79,116 મતદારો નોંધાયેલા હતા. હવે જયારે કચ્છમાં 2,14,019 મતદારોના નામ કમી થવાની સાથે જ કચ્છમાં 2019 લોકસભા ચુંટણી સમયે નોંધાયેલા 14,76,656 જેટલા મતદારો વધશે. એટલે છેલ્લા 6 વર્ષમાં નોંધાયેલા મતદારોના નામ કમી થઇ જશે.
સ્વેટરનું વિતરણ:મંગલ નવકાર અને જાયન્ટ્સ પીપલ્સે બાળકોને સ્વેટર આપ્યાં
શિયાળાની વધતી જતી ઠંડી વચ્ચે ગરીબ અને જરૂરિયાત મંદ ના લોકોના બાળકોને હું ફાફવા માટે સેટેલાઈટ અમદાવાદના મહાવીર ગોપાલ મહેક સેવા સંકુલમાં એક મેગા સ્વેટર વિતરણ કાર્યક્રમમાં આયોજન કરવામાં આવેલ જેમાં આજે 300 બાળકોને સ્વેટર ની ટોપી અને બાલિકાઓને સ્વેટર અને સ્કાક વિતરણ કરી મોટી માનવતાનું કાર્ય શરૂ કરેલ છે ધીરે ધીરે 1500 જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવાનો ટાર્ગેટ બનાવેલ છે. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન વીએસ થી નીરૂબેન શાહ કિર્તીભાઈ ભરતભાઈ અને વંદનાબેન પધારેલ જ્યારે જાન પીપલ્સ ફાઉન્ડેશનમાંથી બલદેવ કાકા લાલજીભાઈ વીણાબેન અને મહેશભાઈ વિતરણમાં સહયોગી બન્યા હતા.
સદ્ગુરુ આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર, કુમકુમ, મણિનગર દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે આજનાં સંતાનોને જીવનમાં સાચા અર્થમાં ‘માતૃપિતૃ ઋણ’ સમજાવતું સાધુ પ્રેમવત્સલદાસજી લિખિત ‘માતાપિતાની સેવા’ નામના પુસ્તકનું વિમોચન કરાયું હતું. મોતીભાઈ ઠક્કર પરિવાર તરફથી પ્રકાશિત કરાયેલા પુસ્તક પ્રકાશન પ્રસંગે કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ... એ આપણી સંસ્કૃતિ છે. તેથી દરેક સંતાનોની ફરજ બની જાય છે કે માતાપિતાની સેવા કરવી જોઈએ. પુત્રનો જન્મ થાય ત્યારે માતાપિતા પેંડા વહેંચે છે અને પછી તે મોટા થઈને માતાપિતાને વ્હેંચે છે. એક માતાપિતા 4 સંતોન મોટાં કરે છે પરંતુ 4 પુત્ર માતાપિતાને રહેવા માટે વારા પાડે છે. સંતાનો સંસારની બે મોટી કરુણતા છે, ઘર વિનાની મા અને મા વિનાનું ઘર... તેવું સર્જન ના કરતાં. આજે ઘણા સંતાનો જીવતાં મા-બાપને ચૂપ કરે છે અને તે મર્યા પછી તેમને ધૂપ કરે છે. જે પિતાએ ખભો આપ્યો, માતાએ ખોળો આપ્યો, તેને ઘડપણમાં અંગૂઠો ક્યારેય ના બતાવતા, નહીં તો જીવનમાં કયારેય સુખી નહીં થવાય. તમે તમારા માતાપિતાની સેવા કરશો, તો જ તમારાં સંતાનો તમારો આદરભાવ જોઈને તમારી સેવા કરશે.
વડતાલધામના સંત ડૉ. સંતવલ્લભદાસ સ્વામી દ્વારા અનુસર્જનાત્મક, મીમાંસા દર્શનના ‘અર્થસંગ્રહ’નો અનુવાદ અને અર્થચન્દ્રિકા ટીકા સહિતનું પુસ્તક ગુજરાત સાહિત્ય અકાદમીએ પ્રકાશિત કર્યું છે. આ પુસ્તકનું વિમોચન વડતાલધામની 107મી રવિસભામાં કરાયું હતું. તેમાં ડૉ. સંત વલ્લભદાસ સ્વામી, અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ, ડૉ. બળવંત જાની સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. જાદવે કહ્યું હતું કે આ રવિસભામા યુવાનોને જોઈને એમ થાય છે કે આ ઝેન જી જનરેશન દેશનું ગૌરવ છે. સનાતન સંસ્કૃતિના યોદ્ધાઓ તૈયાર થઈ રહ્યા છે તે વડતાલ સંસ્થાનું જ નહિ, સનાતન ધર્મનું ગૌરવ છે. નંદસંતોએ રચેલી સાહિત્ય પરંપરા આગળ વધી રહી છે, એ વડતાલને સંપ્રદાયનું વલ્લભી પીઠ તરીકે ઓળખ અપાવશે, આ શબ્દો ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર ડૉ. બળવંત જાનીએ ઉચ્ચાર્યા હતા ડૉ. સંતવલ્લભદાસ સ્વામીએ જણાવ્યું હતું કે આજે સારસ્વત મિત્ર હર્ષવર્ધન ત્રિવેદીને યાદ કરું છું. તેમના પ્રેમાગ્રહથી આ કામમાં પ્રવૃત્ત થઈ શક્યો છું. આ કામ ભગવત્કૃપાથી થયું છે, છતાં સતત પ્રવૃત્તિની વચ્ચે થયું છે માટે ક્ષતિની સંભાવના છે, વિદ્વાન પુરુષ ક્ષમા કરે અને માર્ગદર્શન કરે, એ જ પ્રાર્થના છે. આ પ્રસંગે શાસ્ત્રી હરિઓમ સ્વામી , શાસ્ત્રી સુર્યપ્રકાશ સ્વામી વગેરેએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યા હતા. અંતમાં બંધન બેંક દ્વારા સંસ્થા દ્વારા સંચાલિત હોસ્પિટલમાં ઇમર્જન્સી સુવિધાઓથી સજ્જ એમ્બ્યુલન્સ અર્પણ કરાઈ હતી.
વિતરણ:શ્રી સ્વામિ. ગાદી સંસ્થાન દ્વારા 200 વિદ્યાર્થીને બૂટમોજાં, સ્વેટરનું વિતરણ
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશીર્વાદ સહ ડુમાણા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને 200 બૂટ-મોજાં, 200 સ્વેટર, 200 સ્કૂલ બેગ, 200 સ્કૂલ ડ્રેસ તથા બધાં જ બાળકોને ભોજનના દાતા શ્રીમતી દુર્ગાબેન બળદેવભાઈ ગોબરદાસ પટેલ પરિવાર યુએસએ (વતન ગવાડા) તરફથી દિવ્યચરણદાસજી સ્વામી, પ્રશાંતસ્વરૂપદાસજી સ્વામી, સર્વાત્માપ્રિયદાસજી સ્વામી તથા ત્યાગ પ્રિયદાસજી સ્વામીના હસ્તે વિતરિત કરાયાં હતાં.

23 C