મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસણ ગામ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે, જ્યાં કેન્દ્ર સરકારના પંચાયત મંત્રાલય દ્વારા 'ગ્રામ પંચાયત સ્પેશિયલ ડેવલપમેન્ટ પ્લાન' (GPSDP) યોજના અંતર્ગત પસંદગી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાંથી માત્ર બે ગામો – આણંદનું તારાપુર અને મહેસાણાનું નંદાસણ – આ યોજનામાં સમાવિષ્ટ થયા છે, જે અંતર્ગત આગામી પાંચ વર્ષમાં નંદાસણને તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ કરીને આત્મનિર્ભર મોડેલ વિલેજ તરીકે વિકસાવવામાં આવશે. CEPT યુનિવર્સિટી સાથે સંકલન કરીને તૈયાર કરાયેલા એક્શન પ્લાનમાં સ્કૂલ અપગ્રેડેશન, સ્કીલ ડેવલપમેન્ટ, સોલાર સ્ટ્રીટ લાઇટ્સ, નવું બસ સ્ટેન્ડ અને શોપિંગ સેન્ટર જેવી સુવિધાઓનો સમાવેશ થશે, જેથી ગ્રામ પંચાયત પોતાની આવકના સ્ત્રોત ઉભા કરીને આત્મનિર્ભર બને. ગામમાં માળખાગત સુવિધાઓનો વિકાસ કરી આદર્શ ગામ બનાવાશેમહેસાણા જિલ્લાનું નંદાસણ ગામ હવે રાષ્ટ્રીય ફલક પર ચમકવા જઈ રહ્યું છે. ભારત સરકારના પંચાયત મંત્રાલય દ્વારા જીપીએસડીપી (GPSDP) એટલે કે ગ્રામ પંચાયત સ્પેશિયલ ડેવલપમેન્ટ પ્લાન અંતર્ગત નંદાસણ ગામની પસંદગી કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગામમાં માળખાગત સુવિધાઓનો વિકાસ કરી તેને એક આદર્શ ગામ બનાવવાનો છે. જેમાં ગ્રીન એન્વાયર્મેન્ટ, શુદ્ધ હવા-પાણી અને સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકવામાં આવશે. તંત્ર દ્વારા આ માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પંચાયતની પોતાની આવક ઉભી થઈ શકે એવા સ્ત્રોત ઊભા કરાશેનંદાસણ ગામના વિકાસ માટે સેપ્ટ યુનિવર્સિટી સાથે સંકલન સાધીને એક ખાસ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. આ 5 વર્ષના એક્શન પ્લાનમાં ગામની સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવી છે. પ્રપોઝડ પ્લાન મુજબ ગામમાં સ્કૂલોનું અપગ્રેડેશન, આધુનિક આંગણવાડી, સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર અને સોલાર સ્ટ્રીટ લાઈટ્સ જેવી સુવિધાઓ ઉભી કરાશે. એટલું જ નહીં, ગામમાં નવું બસ સ્ટેન્ડ, શોપિંગ સેન્ટર અને ટાઉન હોલ પણ બનાવવાનું આયોજન છે, જેથી પંચાયતની પોતાની આવક ઉભી થઈ શકે. ગ્રામજનોની જીવનશૈલીમાં આવશે મોટો બદલાવઆ પ્રોજેક્ટનો સૌથી મહત્વનો હેતુ ગ્રામ પંચાયતને ‘આત્મનિર્ભર’ બનાવવાનો છે. ‘ઓન સોર્સ ઓફ રેવન્યુ’ એટલે કે પંચાયત પોતાની આવક જાતે ઉભી કરી શકે તે દિશામાં આયોજન કરાયું છે. ટૂંક સમયમાં જ આ પ્લાન ફાઈનલ કરીને મંજૂરી અર્થે મોકલવામાં આવશે. નંદાસણ ગામમાં થનાર આ વિકાસકાર્યો માત્ર મહેસાણા માટે જ નહીં પરંતુ સમગ્ર રાજ્યના અન્ય ગામો માટે પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે. આ યોજના સાકાર થતાં ગ્રામજનોની જીવનશૈલીમાં મોટો બદલાવ આવશે ડેપ્યુટી DDO ભગવતીબેને જણાવ્યું કે, આપણે GPSDP, ગ્રામ પંચાયત સ્પેશિયલ ડેવલોપમેન્ટ પ્લાન, કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં બે ગામની પસંદગી કરવામાં આવી છે: નંદાસણ અને તારાપુર. તારાપુર આણંદ જિલ્લાનું અને નંદાસણ આપણા મહેસાણા જિલ્લાનું. CEPT યુનિવર્સિટી સાથે સંકલન કરીને 5 વર્ષનો પ્લાન તૈયાર કરાશેGPSDP અંતર્ગત સ્થાનિક જરૂરિયાત અને પ્રાથમિકતાના આધારે 5 વર્ષનો એક્શન પ્લાન તૈયાર કરવાનો છે. જેમાં આર્થિક વૃદ્ધિ અને સામાજિક ન્યાયને પ્રાધાન્ય આપવામાં આવશે. એમાં વિવિધ પ્રકારના રોડ-મેપ્સનું પ્લાનિંગ કરવાનું છે, જેમાં CEPT યુનિવર્સિટી સાથે સંકલન કરીને આપણે કેટલાક પ્રપોઝ્ડ પ્લાન તૈયાર કરી રહ્યા છીએ. એને પછી આપણે ફાઈનલાઈઝ કરીશું. એના આધારે આપણે ગ્રાન્ટ અને જે કઈ યોજનામાં સમાવેશ થશે, એના આધારે આગળ આપણે ઉપર મોકલીને મંજૂરી લઈશું. આ એક મોડેલ ગામ જેવું બનાવવા જઈ રહ્યા છીએ કે સ્થાનિક શું જરૂરિયાત છે અને કયા કાર્યોને પ્રાથમિકતા આપવાની છે અને લોકભાગીદારી વધારવાની વાત છે. સ્થાનિક ભંડોળ કેવી રીતે વધારી શકાય તેના પર ધ્યાન અપાશેસ્કૂલ્સ અપગ્રેડેશન,પાણી પુરવઠો,સેનિટેશન,હેલ્થ,આંગણવાડી,સ્કિલ ડેવલપમેન્ટ, માર્કેટ,બસ સ્ટોપ સાથેનું PPP મોડેલ પર આધારિત શોપિંગ સેન્ટર,ટાઉન હોલ,સોલાર સ્ટ્રીટ લાઈટ્સ આવા અલગ-અલગ પ્લાન આપણે પ્રપોઝ કરી રહ્યા છીએ. ખાસ તો એનો પર્પઝ અને ઓબ્જેક્ટિવ છે કે ‘ઓન સોર્સ ઓફ રેવન્યુ’ એટલે કે એમનું જે સ્થાનિક ભંડોળ છે એ કેવી રીતે વધારી શકાય અને એ પંચાયતને કઈ રીતે ઇન્ડિપેન્ડન્ટ અને આત્મનિર્ભર બનાવી શકાય અને પોતાના કાર્યો કરી શકે, એના આધારે આ GPSDPમાં આપણે આયોજન કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં તે ફાઈનલ થઈ જશે અને એના આધારે આપણે નંદાસણમાં કામ કરીશું. સરકારે 34 ગામડા પસંદ કર્યા એમા ગુજરાતના બે ગામની પસંદગીઉપસરપંચ સૈયદ અનીસભાઈએ જણાવ્યું કે, ઘણી બધી લાગણીઓ છે અને ઘણી બધી આશાઓ છે. અમારું ગામ નંદાસણ GPSDP અંતર્ગત સિલેક્ટ થયું છે. જેના હેઠળ ભારત સરકારે ટોટલ 34 ગામડાઓ સિલેક્ટ કર્યા છે, જે અલગ-અલગ રાજ્યોમાંથી છે. ગુજરાતના બે ગામડાઓ સિલેક્ટ થયા છે - એક તારાપુર અને બીજું નંદાસણ.આ પ્લાન હેઠળ સેન્ટ્રલ લેવલથી ઘણા ડેવલોપમેન્ટ પ્લાન કરવાના છે. તેમનો ટાર્ગેટ એવો છે કે, ગામ પંચાયત પોતાની આવકના સ્ત્રોત ઉભા કરી શકે અને ફક્ત સેન્ટ્રલ ગ્રાન્ટ પર નિર્ભર ન રહેવું પડે. એક ઇન્ડિપેન્ડન્ટ ગ્રામ પંચાયત બની શકે એવો ટાર્ગેટ છે અને અમને ઘણી ખુશી છે કે, અમારું ગામ આટલા ઉચ્ચ લેવલ પર પહોંચશે. નવી ગ્રામપંચાયત સહિત અનેક સુવિધાઓ સુધારણા પર કામ કરાશેવધુમાં 2011ના સેન્સસ પ્રમાણે 13,000 હતી પણ અત્યારે 10% રેશિયો પ્રમાણે ગણીએ તો 18થી 20 હજાર ઉપર વસ્તી છે. સાંભળવા મળ્યું છે કે, તળાવનો જે પ્રશ્ન છે તેને આખું ડેવલોપ કરવામાં આવશે. નવી ગ્રામ પંચાયત બનાવવાની છે. GSRTC સાથે વાતચીત કરીને મોટા પાયે બસ સ્ટેન્ડનું આયોજન કર્યું છે. આ ઉપરાંત ગટર, રોડ, પાણીની પાઈપલાઈન, નર્મદાના પાણી અને સફાઈના મુદ્દાઓ પર પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્લાસ્ટિક રીયુઝ માટેનો પ્લાન્ટ પણ ડેવલોપ કરવાનું વિચારી રહ્યા છે. હવે જોવાનું એ છે કે આ બધું ક્યારે ઇમ્પ્લીમેન્ટ થાય છે.
31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને ભાવનગર પોલીસે શહેરભરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. આજે શહેરના નિલમબાગ સર્કલ ખાતે સીટી ડીવાયએસપી તથા ટ્રાફિક પોલીસ દ્વારા બાઈક સવારો અને ફોર વ્હીલ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.જાહેરમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં અને શહેરના એન્ટ્રી પોઇન્ટ પર બેરીકેટ મૂકી ચેકપોસ્ટ ઉભી કરાઈ31 ડિસેમ્બરની ઉજવણીને લઈ ભાવનગર શહેર અને જિલ્લામાં અસામાજિક તત્વો સામે કડક ચેકિંગ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં અને શહેરના એન્ટ્રી પોઇન્ટ પર બેરીકેટ મૂકી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે, અને પસાર થતા વાહનો ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, તેમજ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ ચેકિંગ હાથ ધરાયું છે. સાથે જ હોટલ અને ધાબાઓનું સતત ચેકિંગ, પ્રોહીબીશન સંવેદનશીલ વિસ્તારોમાં અલગ-અલગ પોલીસ ટીમો દ્વારા કોમ્બિંગ, અને અસામાજિક તત્વોના ઘરે જઈ ચકાસણી કરવામાં આવી રહી છે. આઠ જેટલી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવીઆ અંગે સીટી ડિવાઇએસપી આર.આર.સિંઘાલએ જણાવ્યું હતું કે આગામી 31 ડિસેમ્બરની ઉજવણીના અનુસંધાને ભાવનગર એસપી નીતેશ પાંડેની દેખરેખ હેઠળ અસામાજિક તત્વોના ચેકિંગ માટે ત્રણ ટાઈપની રેન્ડમ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવેલી છે, જેમાં ફર્સ્ટ સ્ટેજમાં જિલ્લા ટુ જિલ્લાની અને ભાવનગર જિલ્લાની આઠ જેટલી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે, તેમજ શહેરના એન્ટ્રી પોઇન્ટ લોકેટ કરી અને બેરીકેટ કરી વાહન ચેકિંગ કરવામાં આવેલા છે, તેમજ શહેરના પોલીસ સ્ટેશન ટુ પોલીસ સ્ટેશનના સંવેદનશીલ વિસ્તાર નક્કી કરી તે વિસ્તારમાં વાહન ચેકિંગ કરવામાં આવેલા છે. કોમ્બિંગ કરવાની કામગીરી ચાલુતેમાં ડ્રિન્ક એન્ડ દ્રાઈવ કરતા જે ઈસમો છે, તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે, તેમજ ફોરવ્હીલમાં હથિયાર રાખીને અથવા પ્રોહીનો મુદામાલ રાખીને પસાર થતા હોય તે વાહનોને ચેકિંગ કરવામાં આવે છે અને કાર્યવાહી કરવામાં આવે છે. તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારના હોટલ ધાબાનું સતત ચેકિંગ શરૂ છે. પ્રોહીનો જે એરિયા છે, ત્યાં દરેક પોલિસ સ્ટેશના એક ટિમની રચના કરી છે, જેમાં મોટી સંખ્યામાં પોલીસ સાથે રાખી તે વિસ્તારમાં કોમ્બિંગ કરવાની કામગીરી હાલમાં ચાલુ છે, તેમજ અસામાજિક તત્વોના ઘરે જઈ તેની ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે. ઓવરઓલ 31 ડિસેમ્બરની ઉજવણી લોકો શાંતિથી કરે અને સારા માહોલમાં પબ્લિક હરેફરે, તે અનુસંધાને આ રીતની કડક કાર્યવાહી શરૂ છે.
દ્વારકાનો શિવરાજપુર બીચ પ્રવાસીઓની પહેલી પસંદ:નાતાલના મિની વેકેશનમાં ગોવાને ટક્કર આપી રહ્યો છે
નાતાલના મિની વેકેશનને કારણે દેવભૂમિ દ્વારકાના વિશ્વવિખ્યાત બ્લુ ફ્લેગ શિવરાજપુર બીચ પર પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આ બીચ હવે ગોવાને બદલે પ્રવાસીઓની પહેલી પસંદ બની રહ્યું છે. શિવરાજપુર બીચની સફેદ રેતી અને સ્વચ્છ વાદળી પાણી પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. અહીં પરિવાર સાથે આવતા સહેલાણીઓ સ્કુબા ડાઈવિંગ અને પેરાસેલિંગ જેવી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. પ્રવાસીઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી હોવાને કારણે અહીંનું વાતાવરણ પારિવારિક અને સુરક્ષિત રહે છે. આના કારણે મહિલાઓ અને બાળકો કોઈપણ સંકોચ વિના મોડી રાત સુધી દરિયાકિનારે સુરક્ષિત રીતે આનંદ માણી શકે છે. પ્રવાસીઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને સુવિધા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પ્રવાસીઓના કલરવથી શિવરાજપુર બીચ હાલ 'મિની ગોવા' જેવો અનુભવ કરાવી રહ્યું છે.
મોરબીમાં રાજ્યકક્ષાનો યુવા મહોત્સવ શરૂ:20 જિલ્લાના સ્પર્ધકોએ લોકનૃત્ય, લોકગીત રજૂ કર્યા
મોરબીમાં રાજ્યકક્ષા યુવા મહોત્સવ 2025-26નો પ્રારંભ થયો છે. આ મહોત્સવનું ઉદ્ઘાટન મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરીયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે લોકનૃત્ય અને લોકગીત સહિત પાંચ સ્પર્ધાઓ યોજાઈ હતી, જેના વિજેતાઓ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. આ કાર્યક્રમ મોરબીની ગ્લોબલ વેદાંત સ્કૂલ ખાતે યોજાયો હતો. જેમાં મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, ધારાસભ્ય દુર્લભજી દેથરીયા, જિલ્લા પંચાયતના સભ્ય જયંતિભાઈ પડસુંબિયા, અન્ય રાજકીય આગેવાનો અને શાળાના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, સરકાર બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે વિવિધ પ્રેરણાદાયી કાર્યક્રમો અને યોજનાઓ અમલમાં મૂકી રહી છે. આનાથી બાળકો અને યુવાનોને પ્રોત્સાહન મળી રહ્યું છે. ધારાસભ્ય દુર્લભજી દેથરીયાએ જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કલા મહાકુંભ, યુવા મહોત્સવ, વાંચશે ગુજરાત, રમશે ગુજરાત અને ખેલ મહાકુંભ જેવા આયોજનો અમલમાં મૂક્યા છે. આનાથી બાળકોમાં રહેલી વિવિધ કળાઓ અને કૌશલ્યો બહાર આવ્યા છે. તેમણે ઉમેર્યું કે, મોબાઈલ યુગ અને પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણથી જૂની રમતો અને આપણી ભાતીગળ સંસ્કૃતિ વિસરાતી જાય છે. આવા સમયે, આ પ્રકારના આયોજનો આપણી સંસ્કૃતિની જાળવણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. આ મહોત્સવમાં ગુજરાતના 20 વિવિધ જિલ્લાઓમાંથી આવેલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેમણે ગુજરાતની સંસ્કૃતિનું ઘરેણું સમાન લોકગીતો રજૂ કર્યા હતા. આ ઉપરાંત, મણિયારો, ટિપ્પણી અને આદિવાસી નૃત્ય સહિતના વિવિધ લોકનૃત્યો પણ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. હંસાબેન પારેઘી સહિતના મહાનુભાવોએ આ કૃતિઓ નિહાળીને સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય જયંતિભાઈ પડસુંબિયા, ગ્લોબલ વેદાંત સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી બી.એ. ગામી, ટ્રસ્ટી હર્ષદભાઈ ગામી અને સ્થાનિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ શહેરના રૈયા ચોક ઓવરબ્રિજ પરથી એક યુવાને છલાંગ લગાવી આત્મહત્યાની કોશિશ કરી હતી જેમાં યુવકને માથાના અને પગના ભાગે ઇજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો છે. પ્રાથમિક તપાસમાં યુવકનું નામ હરેશ જેઠવા (ઉ.વ.41) હોવાનું અને તે રૈયા રોડ પર આવેલ શ્યામનગર વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે.તેને સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે પોતે મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવ્યો હતો. આજ રોજ પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા ઉગ્ર બોલાચાલી બાદ માઠું લાગી આવતા યુવકે ઓવરબ્રિજ પરથી ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી પોલીસે નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચોરાજકોટ મ્યુનિ.ના નિવૃત્ત એન્જિ.નો પત્ની સાથે આપઘાતરાજકોટ શહેરમાં પતિ-પત્નીએ સજોડે આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. યુનિવર્સિટી રોડ પર રહેતા અને મનપામાં ડેપ્યુટી એન્જિનિયર પદેથી નિવૃત થયેલા વૃદ્ધ રાજેન્દ્રભાઈ લખતરીયા (ઉં.વ.70) અને તેમના પત્ની પન્નાબેન રાજેન્દ્રભાઈ લખતરીયા (ઉં.વ.70)એ સાથે મળી 20 ડિસેમ્બરની મોડીરાત્રે ઝેરી દવા પી લીધી હતી. બનાવ અંગે દીકરીને જાણ થતાં દંપતીને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડ્યા હતા. જો કે, સારવાર કારગત નીવડે તે પહેલા રાજેન્દ્રભાઈએ દમ તોડી દીધો હતો.(વાંચો સંપૂર્ણ સમાચાર)
ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ સંગઠનમાં વ્યાપક ફેરફાર કરતા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. 27 ડિસેમ્બર 2025ના રોજ જાહેર થયેલી સંગઠનાત્મક નિમણૂક મુજબ પ્રદેશ ઉપાધ્યક્ષ, મહામંત્રી, મંત્રી, કોષાધ્યક્ષ તેમજ વિવિધ મોરચાના પ્રમુખોની નિમણૂક કરાઈ છે. પાર્ટી દ્વારા જાહેર કરાયેલ યાદી મુજબ પ્રદેશ ઉપાધ્યક્ષ પદે અનુભવી નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે મહામંત્રી અને મંત્રી તરીકે સંગઠનને મજબૂત બનાવવા માટે સંતુલિત અને પ્રતિનિધિત્વ ધરાવતી ટીમ બનાવવામાં આવી છે. સાથે સાથે કિસાન મોરચા, યુવા મોરચા, મહિલા મોરચા, એસસી-એસટી, ઓબીસી અને અલ્પસંખ્યક મોરચાના પ્રદેશ પ્રમુખોની પણ જાહેરાત કરાઈ છે. ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા આજે રાત્રે સંગઠનના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. મહામંત્રી તરીકેવ કચ્છ જિલ્લાના અનિરુદ્ધ દવે, સુરેન્દ્રનગર જિલ્લાના હિતેન્દ્રસિંહ ચૌહાણ, રાજકોટ જિલ્લાના ડો. પ્રશાંત કોરાટ અને ખેડા જિલ્લાના અજય ભાઈ ભટ્ટની નિમણૂક કરવામાં આવી છે. કોષાધ્યક્ષ તરીકે ડો. પરિન્દુ ભગતની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત ભાજપ સંગઠનની ટીમમાં ઉપપ્રમુખ તરીકે અમદાવાદના સિનિયર નેતા ભરત પંડ્યાની નિમણૂક કરવામાં આવી છે. કાર્યાલય મંત્રી તરીકે શ્રીનાથભાઈ શાહની નિમણૂંક કરાઈ છે. મુખ્ય પ્રવક્તા તરીકે ડો. અનિલ પટેલ જ્યારે મીડિયા ઇન્ચાર્જ તરીકે ડો. પ્રશાંત વાળાને મૂકવામાં આવ્યા છે. ભાજપ સંગઠનના સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી ચૂંટણી અને સંગઠન મજબૂત કરવાની દિશામાં આ નિમણૂકો મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. નવી ટીમ સાથે ભાજપ ગુજરાતમાં સંગઠનાત્મક ગતિ વધુ તેજ થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.પાર્ટી દ્વારા તમામ નિમણૂક પામેલા પદાધિકારીઓને તાત્કાલિક અસરથી જવાબદારી સંભાળવા સૂચના આપવામાં આવી છે. ગુજરાત ભાજપે સંગઠનાત્મક નિમણૂકો જાહેર કરીને જ્ઞાતિ સમીકરણને કેન્દ્રમાં રાખતી સ્પષ્ટ રણનીતિ અપનાવી છે. પ્રદેશ ઉપપ્રમુખ પદે ક્ષત્રિય, પટેલ, બ્રાહ્મણ, અનુસૂચિત જાતિ, આદિવાસી તેમજ ઓબીસી સમાજના પ્રતિનિધિઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ નિમણૂકોને 2026ની ચૂંટણી પૂર્વે તમામ સમાજોને સાથે લઈને ચાલવાની તૈયારી તરીકે જોવામાં આવી રહી છે. પાર્ટીની નવી ટીમમાં ઉપપ્રમુખ પદે વિવિધ સામાજિક વર્ગોનું સંતુલિત પ્રતિનિધિત્વ જોવા મળે છે, જેમાં પરંપરાગત વોટબેંક ધરાવતા પટેલ સમાજથી લઈને ઓબીસી, એસસી-એસટી વર્ગ સુધીના નેતાઓને મહત્વની જવાબદારી સોંપાઈ છે. સાથે જ ઠાકોર સમાજને પણ સ્થાન આપીને ઉત્તર ગુજરાત અને ગ્રામ્ય વિસ્તારોના સમીકરણને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે.મહામંત્રી પદે બ્રાહ્મણ, ક્ષત્રિય અને બ્રહ્મભટ્ટ સમાજના નેતાઓની પસંદગી કરવામાં આવી છે. સંગઠનના જાણકારો મુજબ મહામંત્રી પદે અનુભવ અને સંકલન ક્ષમતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જેથી સંગઠન અને સરકાર વચ્ચે વધુ મજબૂત સંવાદ સ્થાપી શકાય. રાજકીય વિશ્લેષકોના મતે ભાજપની આ સંગઠન રચના માત્ર આંતરિક ગોઠવણી નહીં પરંતુ સંપૂર્ણપણે ચૂંટણીલક્ષી છે. જ્ઞાતિ, પ્રદેશ અને અનુભવના સંતુલન સાથે રચાયેલી નવી ટીમ દ્વારા ભાજપે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આગામી ચૂંટણીમાં કોઈપણ સમાજ અવગણાયો નથી અને સૌને સાથે લઈને આગળ વધવાની તૈયારી છે. ગુજરાત ભાજપ સંગઠનમાં મહિલાઓને પણ જવાબદારી સોંપવામાં આવી છે જેમાં 10 ઉપપ્રમુખમાં 2 મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે સુરત શહેરના ઝંખનાબેન પટેલ અને છોટાઉદેપુર ના ગીતાબેન રાઠવાને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. જ્યારે 10 મંત્રીઓમાંથી 6 મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. મહિલા મોરચાના પ્રમુખ તરીકે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના અંજુબેન વેકરીયાને મૂકવામાં આવ્યા છે. ઓબીસી પ્રમુખ તરીકે ગીર સોમનાથ જિલ્લાના માનસિંહ પરમારની નિમણૂક કરાઈ છે.
ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ પૂજ્ય મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતી આગામી 2 ફેબ્રુઆરીના રોજ વડોદરા ખાતે ધામધૂમપૂર્વક ઊજવવાની છે. આ મહોત્સવના પડઘમ સ્વરૂપે આજે સાંજે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં એકસાથે 25 ભવ્ય નગરયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. 25 સ્થળોએ બપોરે ચાર વાગ્યે એકસાથે યાત્રાઓનો પ્રારંભઆ નગરયાત્રાઓ શહેરના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ – ચારેય દિશાઓમાંથી પ્રસ્થાન કર્યું હતું. પૂર્વમાં વૃંદાવન ચાર રસ્તા સ્થિત બીએપીએસ મંદિરથી, પશ્ચિમમાં સેવાસી ગામ પાસે પ્રિયા ટોકીઝ નજીકથી, ઉત્તરમાં છાણી ગામથી અને દક્ષિણમાં માણેજા તેમજ ગાયત્રીનગર સોસાયટી સુધીના કુલ 25 સ્થળોએ બપોરે ચાર વાગ્યે એકસાથે યાત્રાઓનો પ્રારંભ થયો હતો. પાંચ કિલોમીટરના માર્ગે યાત્રા ફરીપૂજ્ય સંતો તથા મહાનુભાવોના વરદ હસ્તે મંત્રોચ્ચાર સાથે ધ્વજારોહણ કરી યાત્રાઓને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. દરેક યાત્રા સરેરાશ પાંચ કિલોમીટરના માર્ગે આગળ વધી હતી અને તેમાં નગરજનોનું ખૂબ જ આકર્ષણ ખેંચ્યું હતું. યાત્રાના આકર્ષણના કેન્દ્રબિંદુ રહ્યા ત્રણ નયનરમ્ય તથા કલાત્મક રીતે સુશોભિત રથો – જેમાં એક રથમાં પ્રભુની પ્રતિમાઓ અને બીજા રથમાં પૂજ્ય મહંત સ્વામી મહારાજની ચિત્રપ્રતિમા વિરાજમાન હતી. પ્રત્યેક નગરયાત્રામાં 500થી વધુ ભાવિક ભક્તો જોડાયાએકસમાન ગણવેશમાં સાડી પરિધાન કરેલી મહિલાઓ, બાંધણી ધારણ કરેલી કળશધારી યુવતીઓ, ચણિયા-ચોળીમાં શોભતી બાલિકાઓ, દ્વિચક્રી વાહનો પર સવાર કિશોરીઓ, ભજન મંડળીઓની સંગીત સુરાવલીઓ, શ્વેતાંબર વસ્ત્રોમાં શોભતા પુરુષ વર્ગ, એકસમાન ટી-શર્ટ પહેરેલા યુવાનો તથા બાઇક પર સવાર 50 જેટલા યુવાનોની સાથે પ્રત્યેક નગરયાત્રામાં 500થી વધુ ભાવિક ભક્તો જોડાયા હતા. આ તમામ યાત્રાઓ દરમિયાન ભક્તોએ પૂજ્ય મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતી મહોત્સવના ભવ્ય ઉદ્ઘોષ કરીને ગુરુભક્તિનું અર્પણ કર્યું હતું. શહેરના તમામ વિસ્તારોમાં આ નગરયાત્રાઓએ ભક્તિમય વાતાવરણ સર્જી દીધું હતું.
સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેમ્પસમાં રખડતા શ્વાનોના ત્રાસ સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ જાહેર કરી છે. વહીવટીતંત્રે સ્પષ્ટ કર્યું છે કે શ્વાન પ્રત્યેની દયાભાવના વિદ્યાર્થીઓના જીવ માટે જોખમી ન બનવી જોઈએ. જો કેમ્પસમાં કોઈ પણ વ્યક્તિ શ્વાનને દૂધ કે બિસ્કિટ ખવડાવતા ઝડપાશે, તો તેની સજાના ભાગરૂપે સિક્યોરિટી એજન્સીએ આર્થિક દંડ ભોગવવો પડશે. કોઈ પણ વ્યક્તિ શ્વાનને દૂધ કે બિસ્કિટ ખવડાવતા ઝડપાશે દંડ ભરવો પડશેરાજ્યના ઉચ્ચ શિક્ષણ કમિશનરના આદેશને પગલે યુનિવર્સિટી દ્વારા ‘નોડલ ઓફિસર’ની નિમણૂક કરવામાં આવી છે. આ અધિકારી સિક્યોરિટી ગાર્ડ્સની કામગીરી પર સતત દેખરેખ રાખશે. જો કેમ્પસના કોઈ પણ વિસ્તારમાં શ્વાન ફરતા દેખાશે, તો નોડલ ઓફિસરના રિપોર્ટના આધારે સંબંધિત સિક્યોરિટી એજન્સી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ સમગ્ર યુનિવર્સિટી કેમ્પસને ‘ડોગ-ફ્રી’ ઝોન બનાવવાનો છે. શ્વાનને ખોરાક આપતા કેમેરામાં કેદ થશો તો દંડ ખાસ કરીને હોસ્ટેલના મેસ અને કેન્ટીન જેવા વિસ્તારોમાં, જ્યાં એઠવાડ કે ખોરાકને કારણે શ્વાનોનો જમાવડો વધુ રહે છે, ત્યાં સીસીટીવી કેમેરા દ્વારા સઘન મોનિટરિંગ કરવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થી કે સ્ટાફ સભ્ય શ્વાનને ખોરાક આપતા કેમેરામાં કેદ થશે, તો તેમની સામે પણ શિસ્તભંગના પગલાં લેવાની તૈયારી વહીવટીતંત્રે દર્શાવી છે. યુનિવર્સિટી આ બાબતે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાના મૂડમાં નથી. શ્વાનોનું ખસીકરણ અને વેક્સિનેશન કરવામાં આવશેસુરક્ષાના પગલાંની સાથે યુનિવર્સિટી લાંબાગાળાના આયોજન પર પણ વિચાર કરી રહી છે. સુરત મહાનગરપાલિકા અને સ્થાનિક એનજીઓના સહયોગથી કેમ્પસના શ્વાનોનું ખસીકરણ અને વેક્સિનેશન કરવામાં આવશે. આ પ્રક્રિયા દ્વારા શ્વાનોની વસ્તી પર નિયંત્રણ લાવી શકાશે અને ભવિષ્યમાં બનનારી શ્વાન કરડવાની કે અન્ય અઘટિત ઘટનાઓને અટકાવી શકાશે.
રાજકોટમાં આઝાદીકાળની સરકારે આપેલી અંદાજિત રૂ.1000 કરોડની વિરાણી હાઈસ્કૂલની જમીનનો કોમર્શિયલ ઉપયોગ થતો હોવાનો વિવાદ વકર્યો છે. આજે વિરાણી હાઈસ્કૂલ મેદાન બચાવો સમિતિની આગામી રણનીતિ માટેની બેઠક રાષ્ટ્રીય શાળામાં મળી હતી. જેમાં પૂર્વ કલેકટર સહિતના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ હાઈસ્કૂલના મેદાનમાં ચાલતી કોમર્શિયલ પ્રવૃતિઓ બંધ થાય અને તેનો રમતવીરો ખેલકૂદની પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરી શકે તેવી માંગણી કરી હતી. આ સાથે જ ખુલાસો કર્યો હતો કે, વિરાણી હાઈસ્કૂલની પૂરી જમીન સરકારે આપેલી છે અને તેથી આ મેદાનને બચાવવા માટે હાલ હાઇકોર્ટે યથાવત પરિસ્થિતિ રાખવાનું કહ્યું છે ત્યારે જો અમારા વિરુદ્ધમાં ચુકાદો આવશે તો સુપ્રીમ કોર્ટમાં જતા પણ અચકાશું નહીં. બીજી તરફ ટ્રસ્ટના વકીલનુ કહેવુ છે કે હાઇકોર્ટ નક્કી કરશે કે જમીન સરકારી છે કે ખાનગી. પૂર્વ કલેકટર સહિતના આગેવાનો બેઠકમાં હાજર રહ્યાવિરાણી હાઇસ્કુલ મેદાન બચાવો સમિતિના પરસોતમ પીપળીયાએ જણાવ્યું હતું કે, આજની બેઠકમાં વિરાણી હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા પૂર્વ કલેકટર કે.બી. ઉપાધ્યાય, દેસાઈ ઉપરાંત શિક્ષણવિદ જતીનભાઇ ભરાડ સહિતની નામાંકિત હસ્તિઓ ઉપસ્થિત રહી છે. જેઓ વિરાણી સ્કૂલની ચિંતા કરી રહ્યા છે. છેલ્લા છ વર્ષથી વિરાણી સ્કૂલના મેદાનને બચાવવા માટે લડત ચાલી રહી છે તે લડત શું છે અને કઈ રીતે આગળ વધી રહી છે તેની માહિતી આપવા માટેની આ બેઠક છે. ભવિષ્યમાં આ લડતને કઈ દિશામાં લઈ જવી તેના સૂચનો માંગવામાં આવ્યા છે. જે સૂચનોના આધારે આ લડતને વધુ સક્ષમ અને મજબૂત બનાવવામાં આવશે. અમારી લડત સરકાર કે તંત્ર સામે નથી પરંતુ વિરાણી હાઈસ્કૂલના ટ્રસ્ટ સામે છે. સરકારે જે હેતુ માટે જમીન આપી છે તે હેતુ જળવાતો ન હોવાનો મતવિરાણી હાઈસ્કૂલના મેદાન બચાવવા માટેની સમિતિ રચવામાં આવી છે જેમાં આવેલા સૂચનોના આધારે આગળની કાયદાકીય લડતની રણનીતિ નક્કી કરવામાં આવશે. આ મેદાનમાં ખાણીપીણી તેમજ ક્રિકેટ બોક્સનું મેદાન કોમર્શિયલ સ્વરૂપે ઊભું થઈ ગયું છે. વિરાણી હાઇસ્કુલ તેમાંથી નફો રડી રહી છે. આ મેદાન રમતવીરોને રમવા માટે છે. સરકારે જે હેતુ માટે જમીન આપેલી હતી તે હેતુ જળવાતો નથી. ટ્રસ્ટ દ્વારા જે રીતે શરત ભંગ કરવામાં આવી રહી છે તેની સામે અમારી લડાઈ છે. 'જો હાઈકોર્ટમાં અમને ન્યાય નહીં મળે તો અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું'તેમણે જણાવ્યું કે, સરકાર દ્વારા અંદાજે રૂ.1000 કરોડની 49720 ચોરસ વાર જમીન વિરાણી હાઇસ્કુલ ટ્રસ્ટને આપી હતી. જેનો શૈક્ષણિક ને બદલે કોમર્શિયલ ઉપયોગ થતો હોવાથી વિદ્યાર્થીઓને ખેલાડીઓ માટેનુ આ મેદાન છીનવાઈ ગયુ છે. તમામ જગ્યા સરકારે જ આપેલી છે જેથી આ જમીનનો કોમર્શિયલ ઉપયોગ ન થઈ શકે અને વેચાણ પણ ન થઈ શકે. હાલ હાઇકોર્ટે યથાવત પરિસ્થિતિ રાખવા માટેનું જણાવ્યું છે જો ભવિષ્યમાં હાઇકોર્ટ દ્વારા અમારી વિરુદ્ધમાં ચુકાદો આપવામાં આવશે તો અમે સુપ્રીમ કોર્ટમાં જશું. શું કહી રહ્યા છે ટ્રસ્ટના વકીલ?આ બાબતે ટ્રસ્ટના વકીલ પરેશ ઠાકરનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, શામજી વેલજી વિરાણી ટ્રસ્ટને 5050.24 ચોરસ મીટર જમીન સરકારે શૈક્ષણિક હેતુ માટે આપેલી છે આ ઉપરાંત 1547.4 ચોરસ મીટર જમીન સરકારી શૈક્ષણિક હેતુ માટે કબજેદાર વિરાણી ટ્રસ્ટ છે. જ્યારે 34191.87 જમીન ટ્રસ્ટની ખાનગી માલિકીની છે. જેથી આમાં અમુક જમીને સરકારી છે બાકીની ટ્રસ્ટની ખાનગી માલિકીની છે. સરકારી જમીન પર કોઈ પણ પ્રકારનો કોમર્શિયલ ઉપયોગ થઈ રહ્યો નથી અને તેના વેચાણની પણ કોઈ વાત નથી. નોંધનીય છે કે, રાજકોટમાં આઝાદી કાળથી એટ્લે કે વર્ષ 1946 માં સદર વિસ્તારમા વિરાણી હાઈસ્કૂલ કાર્યરત હતી બાદમા 1951 માં શ્રી શામજી વેલજી વિરાણી વિવિધલક્ષી વિદ્યાલય માટે સરકાર દ્વારા શહેરના ટાગોર રોડ ઉપર હેમુ ગઢવી હૉલની પાછળ રામકૃષ્ણનગરમાં 41,529 ચોરસ મીટરની અંદાજિત 1000 કરોડની જમીન શૈક્ષણિક હેતુ માટે આપવામા આવી હતી. જેમાંથી 1200 સ્ક્વેર મીટર જગ્યામાં ખાણીપીણીની બજાર ઊભી થઈ ગઈ છે તો ક્રિકેટ અને ફૂટબોલ માટે મેદાન ભાડે આપવામા આવેલું છે. એટ્લે કે કોમર્શિયલ હેતુ માટે આ મેદાનનો ઉપયોગ થાય છે. વર્ષ 2020 માં અહીં આવેલી 5,733.69 ચોરસ મીટર જમીન વેચવા માટે નવા ટ્રસ્ટીઓ દ્વારા ચેરિટી કમિશનરમાં અરજી કરવામાં આવી હતી. જોકે ભૂતપૂર્વ વિદ્યાર્થી પરસોતમ પીપળીયા સહિતનાઓ દ્વારા ચલાવવામાં આવેલી કાયદાકીય લડતને પગલે વહીવટી તંત્રએ આ જમીનને વહેંચી નહી શકાય તેવો ચુકાદો આપ્યો. જે બાદ પશ્ચિમ મામલતદાર અને પ્રાંત અધિકારીએ કરેલી તપાસમાં સામે આવ્યું કે, શૈક્ષણિક હેતુ માટે આપેલી જમીનનો કોમર્શિયલ ઉપયોગ થઈ રહ્યો છે જેથી તેમાં શરત ભંગની કાર્યવાહી થઈ શકે. આ રિપોર્ટ માર્ચ, 2025 માં કલેકટર કચેરી ખાતે મોકલવામાં આવેલો હતો. જોકે હજુ સુધી કલેક્ટર દ્વારા આ બાબતે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. હાલ હાઇકોર્ટ દ્વારા સ્થિતિ યથાવત રાખવા જણાવવામાં આવ્યુ છે.
ડ્રગ્સ વેચનાર રીઝવાન દલની PIT NDPS હેઠળ અટકાયત:પંચમહાલ SOGએ રાજકોટ જેલ મોકલ્યો, ફરી ડ્રગ્સ વેચતો હતો
પંચમહાલ-ગોધરા SOG પોલીસે નશાકારક દ્રવ્યોના ખરીદ-વેચાણ સાથે સંકળાયેલા આરોપી રીઝવાન હુસેન દલની PIT NDPS એક્ટ હેઠળ અટકાયત કરી છે. આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે. આ કાર્યવાહી પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઇ દુધાતની સૂચનાના આધારે કરવામાં આવી હતી. તેમણે જિલ્લામાં નાર્કોટિક્સ ડ્રગ્સની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા અને યુવાધનમાં નશીલા પદાર્થોના ઉપયોગને રોકવા નિર્દેશ આપ્યા હતા. વરિષ્ઠ અધિકારીઓએ ભૂતકાળમાં NDPS ગુનાઓમાં જામીનમુક્ત થયેલા અને ફરીથી નશાકારક દ્રવ્યોનું ખરીદ-વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ PIT NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ સૂચના બાદ SOG ગોધરાના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. પટેલે આવા ઇસમોની માહિતી એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન, ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નશાકારક દ્રવ્યના ખરીદ-વેચાણના ગુનામાં સંડોવાયેલ રીઝવાન હુસેન દલ (રહે. મોહમ્મદી મોહલ્લા, મલા કંપાઉન્ડ, ગોધરા) જામીનમુક્ત થયા બાદ ફરીથી ચોરીછૂપીથી નશાકારક દ્રવ્યોની ખરીદ-વેચાણની પ્રવૃત્તિ કરતો હોવાનું જણાયું હતું. તેના વિરુદ્ધ અગાઉ ગોધરા શહેર બી ડિવિઝન પો. સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૭૦૦૨૨૨૦૪૧૦/૨૦૨૨, NDPS એક્ટ ૧૯૮૫ની કલમ ૮(સી), ૨૧(સી), ૨૯ મુજબ ગુનો દાખલ થયેલો હતો. રીઝવાન દલ વિરુદ્ધ કેફી ઔષધો અને મન: પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વ્યાપાર અટકાવવા અધિનિયમ ૧૯૮૮ (PIT NDPS Act) હેઠળ દરખાસ્ત તૈયાર કરીને પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઈ.ડી. ક્રાઈમ, ગાંધીનગરને મોકલવામાં આવી હતી. આ દરખાસ્ત મંજૂર થતાં, આરોપી રીઝવાન હુસેન દલની PIT NDPS એક્ટ હેઠળ અટકાયત કરીને તેને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
મોરબીના રવાપર ગામે રહેતા એક ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી, તસવીરો-વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી 1.14 કરોડ રૂપિયાની ખંડણી માંગવાના પ્રકરણમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. આ ગુનામાં સંડોવાયેલા 5 આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા અદાલતે તેમના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી સોનાના બિસ્કિટ અને વાહનો સહિત કુલ 64 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. શું હતો સમગ્ર મામલો?રવાપર ગામે રહેતા ભરત નામના ખેડૂતને વાડીએ કામ કરવા માટે મજૂરની જરૂર હોવાથી તેમણે પોતાના ડ્રાઈવર પાંચા કોળીને આ બાબતે વાત કરી હતી. ડ્રાઈવર મારફતે ખુશી નામની મહિલાનો સંપર્ક થયો હતો, પરંતુ આધાર પુરાવા ન હોવાથી ખેડૂતે તેને કામે રાખી ન હતી. ત્યારબાદ ખુશી પટેલે ફોન કરી ખેડૂતનો સંપર્ક સાધ્યો હતો. ગત દિવસોમાં ખેડૂત મહિલાને પોતાની વાડીએ લઈ ગયા હતા, જ્યાં મહિલાએ અચાનક નિર્વસ્ત્ર થઈ ખેડૂતને પકડી લીધા હતા. આ તકે પૂર્વ આયોજિત કાવતરા મુજબ અન્ય શખ્સો ત્યાં ધસી આવ્યા હતા અને ખેડૂતના મહિલા સાથે વાંધાજનક ફોટા-વીડિયો પાડી લીધા હતા. આરોપીઓએ ખેડૂતને બળાત્કાર અને છેડતીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 1.14 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. ડરના માર્યા ખેડૂતે સમયાંતરે શું આપ્યું પોલીસ કાર્યવાહી અને ધરપકડ આ મામલે ફરિયાદ નોંધાતા ડીવાયએસપી (DySP) વિરલ દલવાડીના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે કુલ 8 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી નીચે મુજબના 5 શખ્સોની ધરપકડ કરી છે: મુદ્દામાલની રિકવરી પોલીસે આરોપીઓ પાસેથી 4 સોનાના બિસ્કિટ, સોનાનો ચેન, ગુનામાં વપરાયેલી 2 કાર અને 1 સ્કૂટર સહિત કુલ 64 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો છે. જોકે, હજુ 1 લાખની રોકડ રકમ અને મુખ્ય સૂત્રધાર મહિલા સહિત અન્ય 3 આરોપીઓ ફરાર છે, જેમને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
અમદાવાદના કાંકરિયા ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજિત કાંકરિયા કાર્નિવલ 2025 માં 1 લાખથી વધારે લોકો કાંકરિયા પરિસરમાં ભેગા થતા ભીડને કાબુમાં કરવા માટે કાંકરિયા કાર્નિવલના તમામ સાત ગેટ એન્ટ્રી માટે બંધ કરવામાં આવ્યા છે. તમામ ગેટ પરથી અત્યારે હાલમાં એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે કોઈપણ નાગરિકને કાંકરિયા કાર્નિવલમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 27 ડિસેમ્બરના રોજ શનિવારે કાંકરિયા કાર્નિવલ ની મજા માણવા માટે સમગ્ર અમદાવાદ અને અન્ય શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો કાંકરિયા પરિસર ખાતે કાર્નિવલની મજા માણવા માટે પહોંચ્યા છે. રાતે 9.15 વાગ્યાની આસપાસ કાંકરિયા કાર્નિવલમાં 80 થી 1 લાખ જેટલા લોકો કાંકરિયા ફરતે આવેલા પરિસરમાં ભેગા થઈ ગયા છે જેથી ભીડ માં કોઈપણ પ્રકારની ભાગદોડ ન થાય અને ક્યાંય પણ કોઈ દુર્ઘટના ન બને તેના માટે અગાઉથી નક્કી કરવામાં આવેલી ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ધોરણે કાંકરિયા પરિસરના તમામ સાત ગેટને બંધ કરી પ્રવેશ બંધ કરી દીધો છે. જ્યાં સુધી પરિસર માંથી લોકો એક સાથે મોટી સંખ્યામાં બહાર નહીં નીકળે ત્યાં સુધી હવે કોઈપણ ને એન્ટ્રી આપવામાં આવશે નહીં.
રાજકોટની પરમેશ્વર સોસાયટીમાં રહેતાં જમીન મકાનના ધંધાર્થી પ્રવીણભાઈ જસમતભાઈ પાંભરે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેમના મિત્ર પાર્થભાઈના ગેરેજે તેમની ન્યુ સ્વીફ્ટ કાર નંબર જીજે.06.એચએસ.7247 રૂ.4 લાખમાં વેચવા માટે આપી હતી જે કાર આરોપી પ્રભુદાસ સોલંકીને ગમી જતા રૂ.4 લાખમાં સોદો નક્કી કર્યો હતો અને આરોપીએ પાર્થભાઈના બેંક એકાઉન્ટમાં રૂ.50 હજાર ટોકન પેટેના આપી આરોપી પ્રભુદાસે તેના દિકરા રાજદાસ સોલંકીને ગેરેજ ખાતેથી ગાડી લઈ જવાનુ કહેતા તે કાર લઇ ગયો હતો. જે બાદ આરોપી પિતા-પુત્રએ ફરીયાદીને બાકી નિકળતા રૂ.3.50 લાખ આપ્યાં ન હતાં અને કાર પણ પરત ન આપી છેતરપીંડી આચરતાં ગુનો નોંધાયો હતો. જે ગુનામા LCB ઝોન 2 ટીમે ફરાર આરોપી પ્રભુદાસ સેવાદાસ ઉર્ફે રામદાસ સોલંકીને કાલાવડ ખાતેથી પકડી તાલુકા પોલીસ સોંપી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ ગુનામાં અગાઉ એક આરોપી રાજુદાસ સોલંકીને પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. શાંતાબેન બાબુભાઈ મોલીયા (ઉં.વ.50) આજે સવારે 10 વાગ્યાં આસપાસ શેઠ હાઈસ્કૂલમાં આવેલા દવાખાનામાં જતા હતા ત્યારે રોડ ક્રોસ કરતી વખતે પુરપાટ ઝડપે એક સિટી બસ આવી હતી જેણે શાંતાબેનને ઠોકરે લીધા હતા જેથી વૃદ્ધા રોડ પર ફંગોળાયા હતા અને માથામાં ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જી સિટી બસ ચાલક નાસી ગયો હતો. જો કે અન્ય રાહદારીઓએ 108 મારફત વૃદ્ધાને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ભક્તિનગર પોલીસે વૃધ્ધાનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં શાંતાબેન અને તેમના પતિ સાથે રહેતા હોવાનું સામે આવ્યું છે તેમને કોઈ સંતાન નથી પતિ પત્ની બન્ને એકલા રહે છે. કેટલા નંબરની સિટી બસ હતી અને તેનો ચાલક કોણ હતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ શહેર PCB ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અમદાવાદથી રાજકોટ તરફ આવતા સર્વિસ રોડ ઉપર વિંગ્સ એગ્રીકલચરની સામેના ભાગે ખોડાભાઇ માલકીયા નામનો માણસ એક બ્રાઉન કલરનુ આઇસર નં.જીજે.13.એડબલ્યુ. 8364 પાસે ઉભો છે અને તે આઇશરમા ઇંગ્લીશ દારૂ ભરેલ છે તેવી ચોકકસ બાતમી મળતા દરોડો પાડ્યો હતો દરમિયાન ત્યાં હાજર શખ્સનું નામ પૂછતા પોતે પોતાનું નામ ખોડા નાથા માલકીયા (ઉ.વ.35) હોવાનુ જણાવ્યું હતું. જે બાદ ત્યાં રહેલ આઈશરમાં તપાસ કરતાં તેમાં સફેદ કલરના પાર્સલ હતા જે પૈકી એક પાર્સલ કટર વડે ખોલી જોતા પાર્સલની આડમાં ઇંગ્લીશ દારૂના બોક્ષ ભરેલ હતા જેથી તમામ પાર્સલ નીચે ઉતારી તપાસ કરતા ગ્લાસ ફાયબર રો મટીરીયલ્સની આડમાંથી કુલ અલગ અલગ બ્રાન્ડની 1965 બોટલ મળી આવતાં રૂ.7.43 લાખનો દારૂ, આઈશર ટ્રક સહિત રૂ.19.48 લાખના મુદામાલ સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ દારૂનો જથ્થો રાજકોટના લિસ્ટેડ બુટલેગર યાકુબ મુસા મોટાણીએ દમણ ખાતેથી રવાના કર્યો હતો અને તે રાજકોટના ભગવતીપરામાં રહેતાં બુટલેગર હમીદ જીકર પરમારને સપ્લાય કરવાનો હતો. હાલ પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, લિસ્ટેડ બુટલેગર યાકુબ મોટાણી દમણ બેસી સમયાંતરે રાજકોટમાં મોટા પ્રમાણમાં દારૂ ઠાલવી રહ્યો છે, છતાં પણ તે પોલીસ પકડથી દૂર છે. યાકુબ વિરુદ્ધ રાજકોટ સહિત રાજ્યભરના પોલીસ મથકમાં દારૂના ગુના નોંધાઈ ચુક્યા હોવાનું અને બુટલેગર હમીદ વિરુદ્ધ પણ દારૂના ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
વડોદરા બ્રેકિંગ વડોદરામાં યોજાનાર આંતરાષ્ટ્રીય મેચને લઈ ટિકિટનું વેચાણ શરૂ થશે ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે યોજાનાર વન ડે મેચની ટિકિટ આગામી 1 જાન્યુઆરીથી બુક માય શો પર 11 કલાકે શરૂ થશે આગામી ૧૧ મી જાન્યુઆરીએ યોજાનાર છે મેચ બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવી માહિતી
જૂનાગઢ જિલ્લાના માણાવદર વિધાનસભા મતવિસ્તારમાં આજે રાજકીય ગરમાવો જોવા મળ્ચો. જેમાં વંથલી તાલુકાના ખોરાસા ગામે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત કિસાન ન્યાય સભા એક મોટા શક્તિ પ્રદર્શનમાં ફેરવાઈ હતી. આ કાર્યક્રમમાં વર્ષોથી ભાજપ અને કોંગ્રેસ સાથે જોડાયેલા તેમજ પૂર્વ મંત્રીના અત્યંત અંગત ગણાતા દિગ્ગજ આગેવાનો અને પદાધિકારીઓએ કેસરીયો ખેસ ઉતારી વિધિવત રીતે આમ આદમી પાર્ટીનો 'ઝાડુ' વાળો ખેસ ધારણ કરતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચ્યો છે. MLA હેમંત ખવાએ કહ્યું, વિસાવદર વાળી થઈ તેના પાયામાં માણાવદર છે. રાજનીતિમાં લાંબા સમયથી સક્રિય આગેવાનો AAPમાં જોડાયાવંથલીના ખોરાસા ખાતે યોજાયેલ આ ન્યાય સભામાં રાજનીતિમાં લાંબા સમયથી સક્રિય અને લોકપ્રિય એવા જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય પ્રવીણ વાલાભાઈ ચાવડા, તેમના પુત્ર વનરાજ ચાવડા, મનુભાઈ મુછડીયા (હાલના તાલુકા પંચાયત સભ્ય અને પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય) સહિત અનેક દિગ્ગજો આમ આદમી પાર્ટીની વિચારધારામાં જોડાયા છે. આ પક્ષ પરિવર્તનમાં માણાવદર તાલુકા પંચાયતના વર્તમાન સભ્યો જયેશ ડાંગર, રમેશ ભલાણી, લાખાભાઈ અને મેંદરડા તાલુકા પંચાયતના સભ્ય પ્રભાત બકુત્રા જેવા જમીની નેતાઓનો સમાવેશ થાય છે. ભાજપ-કોંગ્રેસના 100થી વધુ આગેવાનો 'આપ'માં જોડાયાઆ કાર્યક્રમમાં માત્ર તાલુકા કે જિલ્લા કક્ષાના નેતાઓ જ નહીં, પરંતુ ગ્રામીણ સ્તરે મજબૂત પકડ ધરાવતા 8થી વધુ વર્તમાન સરપંચો અને 15 જેટલા પૂર્વ સરપંચો સહિત અંદાજે 100થી વધુ ચૂંટાયેલા અને પૂર્વ હોદ્દેદારો જોડાયા છે. જેમાં દડવા, રફાળા, સિતાણા, આંબલીયા, તાણા, ઉંટડી, મરમઠ, ગાદોઈ અને ચિખલોદરા જેવા ગામોના પ્રભાવશાળી આગેવાનોનો સમાવેશ થાય છે. અંદાજે 5000થી વધુ કાર્યકર્તાઓએ પણ સામુહિક રીતે પક્ષ પલટો કરતા માણાવદર વિધાનસભા બેઠક પર આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મોટા ઉલટફેરના એંધાણ વર્તાઈ રહ્યા છે. ભાજપમાં હવે માત્ર વચેટીયાઓ અને દલાલોનું જ કામ રહ્યું છે- હેમંત ખવાઆ પ્રસંગે સભાને સંબોધતા જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ ભાજપ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ભાજપમાં હવે માત્ર વચેટીયાઓ અને દલાલોનું જ કામ રહ્યું છે, નિષ્ઠાવાન અને સારા માણસોનું ત્યાં સન્માન જળવાતું નથી. જે લોકો ખરેખર ખેડૂતો અને પ્રજા માટે લડવા માંગે છે તેઓ ગૂંગળામણ અનુભવી રહ્યા છે. મેંદરડા, વંથલી અને માણાવદર પંથકના રાજકારણમાં ગરમાવોજ્યારથી વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે, ત્યારથી મેંદરડા, વંથલી અને માણાવદર પંથકના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો, જે આજે ખોરાસાની આ ન્યાય સભામાં પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. વર્ષોથી એકચક્રી શાસન ભોગવતા પક્ષો માટે આ ગાબડું ચિંતાનો વિષય બન્યું છે.
થર્ટી ફર્સ્ટને લઈ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ રોકવા માટે પોલીસ એલર્ટ મોડ પર છે. આ દરમિયાન મહેસાણા તાલુકા પોલીસે જગુદણ ગામની સીમમાં ઓ.એન.જી.સી. જી.જી.એસ. પાસે આવેલા એક ખેતરમાં દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 693 નંગ બોટલ અને મોબાઈલ ફોન સહિત કુલ 6,39,499નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખેતરમાં ચાલતા વિદેશી દારૂના અડ્ડા પર રેડમહેસાણા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર ડી.જી. બડવા અને તેમનો સર્વેલન્સ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ગૌરવકુમાર બાબુભાઈ અને ચેતનભાઈ સોમાભાઈને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, જગુદણ ગામની સીમમાં આવેલ મંગળભાઈ હરીદાસ પટેલના ખેતરમાં કેટલાક શખ્સો બહારથી વિદેશી દારૂનો જથ્થો લાવી તેનું વેચાણ અને કટિંગ કરી રહ્યા છે. 693 બોટલો સાથે 6.39 લાખનો મુદ્દામાલ જપ્તમળેલી બાતમીના આધારે પોલીસે ખેતરમાં દરોડો પાડતા ત્યાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 57 પેટીઓ તથા 9 છૂટી બોટલો મળી આવી હતી. પોલીસે કુલ 693 સીલબંધ બોટલો કિંમત 6,29,499 અને બે મોબાઈલ ફોન કિંમત 10,000 મળી કુલ 6,39,499નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બે શખ્સોની અટકાયતઆ મામલે પોલીસે ઠાકોર દર્શન ઉર્ફે અજયજી રણછોડજી (રહે. મહેસાણા, મૂળ પાટણ) અને ઠાકોર સંજય ઉર્ફે ગીડો કડવાજી (રહે. જગુદણ)ની અટકાયત કરી છે. જ્યારે અન્ય આરોપીઓમાં જગુદણના ઠાકોર કિરણ ઉર્ફે ભલાજી મુકેશજી, દંતાણી રાહુલ ભરતભાઈ અને મહેસાણાની બાલાજી હાઇટ્સમાં રહેતી પટેલ રીટાબેન માધવલાલ સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આજે 27 ડિસેમ્બરના રોજ એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ખોડલધામ ટ્રસ્ટના મુખ્ય કાર્યાલય ખાતે ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં એક કોર કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં અલગ અલગ બે જગ્યાએ શ્રી ખોડલધામ મંદિર સંકુલ નિર્માણની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા કાગવડ સ્થિત શ્રી ખોડલધામ મંદિરની જેમ જ દક્ષિણ ગુજરાતની ધરતી પર સુરતમાં અને વિદેશની ધરતી પર લંડનમાં શ્રી ખોડલધામ મંદિર સંકુલના નિર્માણની જાહેરાત કરવામાં આવી છે. કાગવડ ખાતે મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણયકોર કમિટીની બેઠક બાદ ચેરમેન નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટી મંડળની કોર કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં હાલ ચાલી રહેલા પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હતી અને આગામી સમયના પ્રકલ્પોની પણ ચર્ચા કરવામાં આવી હતી. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા હાલ રાજકોટ નજીક અમરેલી ગામ પાસે અદ્યતન વૈશ્વિક કક્ષાની કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ ઉત્તર ગુજરાતમાં પાટણના સંડેર ગામ પાસે શ્રી ખોડલધામ સંકુલનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં આ બન્ને પ્રોજેક્ટ પૂર્ણ કરીને સમાજને અર્પણ કરવામાં આવશે. સાથે સાથે આવતા દિવસોમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના પ્રકલ્પો પ્રમાણે મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદમાં એક શ્રી ખોડલધામ સંકુલ બનાવવાનું પણ આયોજન છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે પણ ભવનનું નિર્માણ કરવામાં આવશે. સુરત અને લંડનમાં ખોડલધામ મંદિર સંકુલ બનાવાશેવધુમાં નરેશ પટેલે મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ શ્રી ખોડલધામ મંદિર સાથેનો પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો છે. સાથે જ વધુ આનંદની વાત એ છે કે, આજે આ કોર કમિટીની બેઠક યોજાવાની હતી તેના થોડા કલાકો પહેલા લંડનમાં વસતાં ખોડલધામના સ્વયંસેવકોએ આજે શ્રી ખોડલધામ મંદિરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેઓએ અમારી સાથે ચર્ચા કરીને લંડનમાં પણ ખોડલધામ મંદિર બનાવવાનો નિર્ણય લીધો છે. તેથી લંડનમાં પણ ટૂંક સમયમાં શ્રી ખોડલધામ મંદિર નિર્માણનું કામ ચાલુ થશે. આ બન્ને જગ્યાએ નિર્માણ પામનાર મંદિર સંકુલ પાટણના સંડેર ખાતે બની રહેલા મંદિર સંકુલની જેમ જ નિર્માણ પામશે. પાટણના સંડેર ખાતે હાલ 42 હજાર ઘનફૂટ પથ્થરમાંથી મંદિર નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં જ સુરત અને લંડનમાં નિર્માણ પામનાર શ્રી ખોડલધામ મંદિર સંકુલ પ્રોજેક્ટની વધુ વિગતો જાહેર કરવામાં આવશે.
સતલાસણામાં જવેલર્સની દુકાન ચલાવતા વ્યાપારીને દુકાન ચલાવવી હોઈ તો પંદર લાખ રૂપિયા આપવા પડશે અને આ રૂપિયા નહિ આપે તો પત્ની અને બાળકોને ઉપાડી જઇ મારી નાખવાની ધમકીઓ આપનાર મોટા કોઠાસણા ગામના ચૌહાણ ઉપેન્દ્રસિંહ ઉર્ફ પિન્ટુ ભા નામના શખ્સ સામે સતલાસણા પોલીસ મથકમાં વેપારીએ ફરિયાદ નોંધાવી છે. 'તારે મને 15 લાખ આપવા પડશે'સતલાસણાની સત્યમ સોસાયટીમાં રહેતા અને સતલાસણાના જનતા માર્કેટમાં શિવમ જવેલર્સ નામની દુકાનમાં સોના-ચાંદીના દાગીનાની લે વેચનો વ્યાપર કરતા 48 વર્ષીય પંચાલ વિજયભાઈએ સતલાસણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, તેઓ સતલાસણા બજારમાં હાજર હતા એ દરમિયાન મોટા કોઠાસણા ગામનો ચૌહાણ ઉપેન્દ્રસિંહ ઉર્ફ પિન્ટુભા ફરિયાદીને બજારમાં મળ્યો હતો. જાનથી મારી નાખવાની ધમકી આપીઆરોપીએ કહ્યું હતું કે, સતલાસણા બજારમાં જવેલર્સની દુકાન ચલાવવી હોઈ તો તારે મને 15 લાખ આપવા પડશે. પૈસા નહિ આપે તો તને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની અને પત્ની થતા બાળકોને ઉઠાવી લઈ જઈ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગાળો બોલી જતો રહ્યો હતો. ફરિયાદ નોંધાઈસમગ્ર ઘટના દરમિયાન ફરિયાદી ધમકીના કારણે ડરી ગયા હતા. ત્યારબાદ તેઓએ આ બાબતે પોતાની દુકાન પાસે અન્ય વ્યાપારીઓને જાણ કરી હતી. અને બીજા વ્યાપારીઓએ હિંમત આપતા આખરે ફરિયાદીએ સતલાસણા પોલીસ મથકમાં ધમકી આપનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભુરખલ ગામના 26 વર્ષીય યુવાને પત્ની અને તેના પ્રેમીના કારણે આપઘાત કરી લીધો છે. ઝેરી દવા ગટગટાવીને મરવાનું પસંદ કરતાં પહેલા તેની માતાને ફોન કરીને છેલ્લા રામ રામ કહ્યા હતા. જ્યારે તેના ભાઈને આજીજી કરી કરી હતી કે ‘ભાઈ મને બચાવી લે, આ લોકો મારું મર્ડર કરી નાખશે’. દોડી ગયેલા યુવાને જેમતેમ કરીને તેના ભાઈને સમજાવ્યો હતો. પરંતુ પત્ની અને પ્રેમીના ખોફથી જીવવા કરતાં મરવાનો રસ્તો તેણે મોતનો માર્ગ પસંદ કર્યો હતો. યુવકનું મોત થતાં તેના ભાઈએ ભાભી અને તેના પ્રેમી સામે BNS મુજબ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો હતો. પત્નીના અફેરને કારણે સંસારમાં કલેશપ્રાપ્ત વિગતો મુજબ, ગીરીશ હાલોલ ખાતે પત્ની અલ્પા સાથે રહી એક ખાનગી શો-રૂમમાં નોકરી કરતો હતો. લગ્નના 3 વર્ષ બાદ પત્નીને તેની જ કંપનીમાં કામ કરતા સુનીલ વસાવા સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ ગીરીશને થઈ હતી. આ બાબતે પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. ગત તા. 22/11/2025ના રોજ પ્રેમી સુનીલે ગીરીશના ઘરે જઈ ધમકી આપી હતી કે, “જો પહેલી તારીખે રૂમ ખાલી નહીં કરે તો તારું મર્ડર કરી નાખીશ.” મોત પહેલા ભાઈ અને માતાને ફોન કર્યો હતો પત્ની અને પ્રેમીના આતંકથી ગીરીશ એટલો ડરી ગયો હતો કે તેણે પોતાના ભાઈ ભાવેશભાઈને ફોન કરીને રડતા રડતા આજીજી કરી હતી કે, “ભાઈ, તું મને બચાવવા આવ... સુનીલ અને તારી ભાભી મને જીવવા નહીં દે. એ લોકો મારું મર્ડર કરે એના કરતાં હું પોતે જ મરી જાઉં એ સારું છે.” માતાને છેલ્લા રામ-રામમાનસિક યાતના અને બદનામીના ડરથી ભાંગી પડેલા ગીરીશે પોતાની માતાને પણ ફોન પર “મારા છેલ્લા રામ-રામ” કહીને વિદાય માંગી હતી. ત્યારબાદ તા. 23/11/2025 ના રોજ શહેરાના ભુરખલ સ્થિત ઘરે તેણે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બે દિવસની સારવાર બાદ સિવિલ હોસ્પિટલમાં ગીરીશનું કરુણ મોત નીપજ્યું હતું. મોબાઈલ રેકોર્ડિંગના આધારે પોલીસ કાર્યવાહીગીરીશના મોત બાદ તેના મોબાઈલમાંથી મળેલા રેકોર્ડિંગ અને પુરાવાઓના આધારે શહેરા પોલીસે તપાસ તેજ કરી છે. ભાઈ ભાવેશની ફરિયાદના આધારે પોલીસે આરોપી અલ્પા અને સુનીલ વસાવા વિરુદ્ધ BNS કલમ 108 અને 351(2) હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ પી.આઈ. એ.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે પત્ની અને પ્રેમીએ મળીને એક હસતો-રમતો સંસાર ઉજ્જડ કરી દીધો છે, જેથી તેઓને કડકમાં કડક સજા થવી જોઈએ.
સામાન્ય રીતે સ્મશાનેથી ક્યારેય મડદાં પરત ફરતા હોતા નથી. પરંતુ, સુરત શહેરમાં છેલ્લા 15 દિવસમાં બે એવી ઘટના બની છે કે, પરિવારે સ્મશાન ગૃહેથી મડદાંને હોસ્પિટલ લઈ જવા પડ્યા હોય. મુશ્કેલી એ છે કે, સુરત શહેરમાં વસતા અનેક લોકો હોસ્પિટલ અને સ્મશાન ગૃહની કાગળની કાર્યવાહીથી અજાણ હોય છે. જેના કારણે આ સમસ્યા સર્જાઈ રહી છે. ત્યારે તંત્રએ જ મળીને આ સમસ્યાનો કોઈ કાયમી હલ કાઢવામાં આવે તે જરુરી બન્યું છે. સ્મશાને પહોંચ્યા બાદ પરિવારને ખબર પડી કાગળમાં હોસ્પિટલના સહી સિક્કા જરુરી છેવાલક નગર આશાપુરી ખાતે રહેતા અને કડિયાકામ કરતા રામદેવ કુમાર યાદવ (42 વર્ષ)ના પત્ની જગમનીયા દેવી (53 વર્ષ)નું શુક્રવારે રાત્રે 12 વાગ્યાના અરસામાં અવસાન થયું હતું. શનિવારે સવારે 11 વાગ્યે રામદેવ કુમાર પત્નીનો મૃતદેહ લઈને ઉમરા સ્મશાનગૃહે પહોંચ્યા હતા. જોકે, બપોરે 1 વાગ્યે તેમને જાણ કરવામાં આવી કે સારવારના પેપર્સ પર સિવિલ હોસ્પિટલના જરૂરી સહી-સિક્કા નથી, જેના વિના અંતિમ સંસ્કારની વિધિ થઈ શકે નહીં. પરિવારને ખ્યાલ નહોતો કે ઘરે મૃત્યુ થયું હોય અને સારવાર હોસ્પિટલમાં ચાલતી હોય ત્યારે પણ હોસ્પિટલમાંથી સહી-સિક્કાવાળા કાગળ કરાવવા અનિવાર્ય છે. અંતે, બપોરે 4 વાગ્યે રામદેવ કુમાર પત્નીનો મૃતદેહ લઈ ફરી નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા જેથી પ્રક્રિયા પૂર્ણ કરી શકાય. 25 વર્ષ સુરતમાં રહી કડિયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવ્યુંમૃતક જગમનીયા દેવી મૂળ બિહારના વતની હતા અને 25 વર્ષથી સુરતમાં સ્થાયી થયા હતા. તેમના લગ્નની પૃષ્ઠભૂમિ પણ લાગણીસભર છે. જગમનીયા દેવી રામદેવના મોટા ભાઈના પત્ની હતા, પરંતુ ભાઈના અવસાન બાદ રામદેવે તેમને અપનાવી લગ્ન કર્યા હતા. તેમને સંતાનમાં બે પુત્રો અને એક પુત્રી છે. રામદેવ કુમારે જણાવ્યું હતું કે, મારી પત્નીને હાથ-પગમાં સોજા આવતા 10 દિવસ પહેલા સિવિલમાં દાખલ કરી હતી. ગયા શનિવારે રજા આપી હતી, પણ ફરી તબિયત બગડતા ઘરે જ મૃત્યુ થયું. અમને એમ કે હોસ્પિટલના જૂના કાગળ ચાલશે, એટલે અમે સીધા સ્મશાન ગયા હતા. પણ ત્યાં ડોક્ટરે સહી-સિક્કા માંગતા અમે ફરી હોસ્પિટલ આવ્યા. 15 દિવસમાં આ બીજી સમાન ઘટના આ અગાઉ ગત 13મી ડિસેમ્બરના રોજ પણ સુનિતા દેવી નામના મહિલાના પરિવાર સાથે આ જ પ્રકારની મુશ્કેલી સર્જાઈ હતી. એ સમયે પણ પરિવાર અચાનક જ નવી સિવિલ હોસ્પિટલ મૃતદેહ લઈને પહોંચ્યો હતો કારણ કે તેમની પાસે પણ સહી-સિક્કા કરેલા જરૂરી કાગળો ઉપલબ્ધ નહોતા. સ્મશાનમાં અંતિમ વિધિ માટે કાયદાકીય રીતે હોસ્પિટલ કે ડોક્ટરનું ડેથ સર્ટિફિકેટ અથવા સિક્કાવાળા પેપર્સ અનિવાર્ય હોય છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
જૂનાગઢ જિલ્લાના પ્રભાતપુર ગામે રાષ્ટ્રીય પક્ષી મોરના મૃતદેહનો ગેરકાયદેસર કબજો મેળવી તેના ટુકડા કરી માંસ રાંધવાનો અત્યંત શરમજનક અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વન વિભાગે બાતમીના આધારે દરોડો પાડીને આરોપીને રાંધેલા માંસ સાથે ઝડપી પાડ્યો છે. નામદાર કોર્ટે આ મામલે કડક વલણ અપનાવી આરોપીને 8 જાન્યુઆરી સુધી જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. 11KV લાઈન પર કરંટ લાગતા મોરનું મોત થયું હતુંસમગ્ર ઘટનાની વિગત મુજબ, ગત 25 ડિસેમ્બર 2025ના રોજ ડુંગર દક્ષિણ રેંજના રામનાથ રાઉન્ડમાં આવેલા પ્રભાતપુર ગામે ઓઝત નદીના કાંઠે 11KVની વીજ લાઈન પર બેસવા જતાં એક મોરને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ સમયે ત્યાંથી પસાર થતા પ્રભાતપુર ગામના રહીશ રમણીક દાનાભાઇ ચૌહાણે વન વિભાગને જાણ કરવાને બદલે મોરના મૃતદેહનો ગેરકાયદેસર કબજો મેળવ્યો હતો. માંસનું શાક બનાવ્યું અને અવશેષો નદીમાં ફેંક્યાબાતમીદારે વન વિભાગને જાણ કરી હતી કે કોઈ અજાણ્યો શખ્સ મૃત મોરને લઈ ગયો છે. આ બાતમીના આધારે RFO એ.એ. ભાલીયા અને વન વિભાગની ટીમે આરોપી રમણીકના ઘરે રેડ કરી હતી. તપાસ દરમિયાન ઘરમાંથી રાંધેલા મોરના માંસનું શાક અને અન્ય મુદ્દામાલ મળી આવ્યો હતો. પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપીએ કુહાડી વડે મોરના ટુકડા કર્યા હતા અને બાકીના અવશેષો જેવા કે બે પાંખો, ડોક અને પીંછા ઓઝત નદીમાં ફેંકી દીધા હતા, જેને વન વિભાગે કબજે લીધા છે. વન વિભાગની કાર્યવાહીથી આરોપી જેલના સળિયા પાછળજૂનાગઢ ડીસીએફ અક્ષય જોશીના માર્ગદર્શન હેઠળ વન વિભાગે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આરોપી રમણીકની ધરપકડ કરી હતી. આજે 27 ડિસેમ્બરના રોજ આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે ગંભીર નોંધ લીધી હતી અને આરોપીને 8 જાન્યુઆરી 2026 સુધી જૂનાગઢ જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. જૂનાગઢ વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય પક્ષી સાથેની આવી ક્રૂરતા સાંખી લેવામાં આવશે નહીં. વન્યજીવોના રક્ષણ માટે વન વિભાગ સતર્ક છે અને ભવિષ્યમાં પણ આવા ગુનેગારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ચંદ્રુમાણા ગામે 7 લાખના ખર્ચે પંખીઘરનું નિર્માણ:દિવંગત પ્રમુખના સ્મરણાર્થે પરિવારે કર્યું લોકાર્પણ
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે ૭ લાખ રૂપિયાના ખર્ચે પંખીઘરનું નિર્માણ કરાયું છે. શ્રી સંકટ મોચન હનુમાનજી દાદાના મંદિર પાસે બનેલા આ પંખીઘરનું લોકાર્પણ શ્રી ગૌરી માતા દેવસ્થાન ટ્રસ્ટના દિવંગત પ્રમુખ સ્વ. મંગળદાસ ગંગારામ પટેલના સ્મરણાર્થે તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યું હતું. આ પંખીઘરના નિર્માણમાં દાતા પરિવારજનો વિઠ્ઠલભાઈ મંગળદાસ પટેલ, બબુબેન મંગળદાસ પટેલ, રામીબેન વિઠ્ઠલભાઈ પટેલ અને સમસ્ત પરિવારનો સહયોગ રહ્યો છે. પંખીઘર માટેની જમીન વિઠ્ઠલભાઈ પટેલ અને નવીનભાઈ અમૃતલાલ વ્યાસ દ્વારા હનુમાનજી મંદિર પાસે દાનમાં અપાઈ હતી. લોકાર્પણ પ્રસંગે મારૂતિ ટ્રસ્ટના પ્રમુખ ભાનુભાઈ રામશંકર વ્યાસ, ભરતભાઈ દેવશંકર રાવલ, દાતા પરિવારના કાંતિભાઈ ત્રિભોવનદાસ પટેલ, લલીતભાઈ નટવરલાલ વ્યાસ અને નવીનભાઈ અમૃતલાલ વ્યાસ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરતભાઈ રાવલે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ પંખીઘરના નિર્માણથી અબોલ પક્ષીઓને શિયાળો, ઉનાળો અને ચોમાસામાં સુરક્ષિત આશરો મળી રહેશે. દાદાના ભક્ત કાન્તિલાલ મણીલાલ વ્યાસ તથા અન્ય અગ્રણીઓએ આ કાર્યને બિરદાવ્યું હતું.
વલસાડ ડેમોશા કંપની બહાર કામદારોની હડતાળ:ધારાસભ્ય અનંત પટેલ જોડાતા લેબર ડિપાર્ટમેન્ટ દોડતું થયું
વલસાડની ગુંદલાવ GIDCમાં આવેલી ડેમોશા કંપનીના કામદારો પોતાની વિવિધ માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળમાં વાંસદા-ચીખલીના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પણ કામદારોના સમર્થનમાં જોડાયા હતા. ધારાસભ્ય અનંત પટેલ કામદારો સાથે હડતાળમાં જોડાતા જ વલસાડનું લેબર ડિપાર્ટમેન્ટ સક્રિય બન્યું હતું. વહીવટી તંત્ર પણ દોડતું થયું હતું. લેબર ડિપાર્ટમેન્ટના અધિકારીઓ તાત્કાલિક ડેમોશા કંપની બહાર પહોંચ્યા હતા. તેમણે હડતાળ પર બેઠેલા કામદારો અને ધારાસભ્ય અનંત પટેલ સાથે વાતચીત કરી હતી. અધિકારીઓએ કામદારોને પડતી મુશ્કેલીઓ અને હડતાળના કારણો જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વલસાડ રૂરલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યો છે.
વિદેશી કોલેજોમાં ફી ભરવાના બહાને લાખો રૂપિયા પડાવીને બનાવટી રસીદો આપીને ઠગાઇ આચરનાર ઠગબાજને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા છ મહિનાથી ચાલતી તપાસમાં ઝડપી પાડ્યો છે. આરોપી વિજયકુમાર પરષોત્તમભાઇ પરમાર (ઉંમર 43) વિરુદ્ધ વડોદરાના છાણી અને હરણી પોલીસ સ્ટેશન તથા સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં કુલ ત્રણ કેસ નોંધાયા છે, જેમાં કુલ રૂ.55 લાખથી વધુની ઠગાઇ કરવામાં આવી છે. કેનેડા-અમેરિકાની કોલેજોમાં ફી ભરવાના નામે પૈસા લઈ ખોટી રસીદો વોટ્સએપમાં મોકલતોઆ કાર્યવાહીમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આર.જી. જાડેજા અને એન.જી. જાડેજાની ટીમે ટેક્નિકલ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીને ભાયલી ફાટક પાસેના ક્રિષ્ણા વાટીકા ફ્લેટમાંથી ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપી અટલાદરા ખાતે ખુશી ફાયનાન્શીયલ સોલ્યુશન નામની ઓફિસ ચલાવીને કેનેડા અને અમેરિકાની કોલેજોમાં ફી ભરવાના નામે પૈસા લઇને ખોટી રસીદો વોટ્સએપ પર મોકલતો હતો. કુલ અલગ અલગ ત્રણ કેસમાં 55 લાખની છેતરપિંડી આચરીઆ મામલે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદીના પુત્રની કેનેડાની જ્યોર્જ બ્રાઉન કોલેજમાં ફી ભરવાના બહાને રૂ.24.47 લાખ પડાવીને ખોટી રસીદ આપી છેતરપિંડી આચરી હતી. જ્યારે શહેરના હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદીના પુત્રની અમેરિકાની યુનિવર્સિટી ઓફ અલાબામા (બર્મિંગહામ)માં એડમિશન અને ટ્યુશન ફીના નામે રૂ.15.39 લાખ પડાવીને ખોટી રસીદ આપી વિશ્વાસઘાત કર્યો હતો. આ સાથે સુરત ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીના પુત્રની કેનેડા વેસ્ટ યુનિવર્સિટીમાં ડિપોઝિટ અને ફીના નામે રૂ. 17.62 લાખ પડાવીને ખોટી રસીદ આપી છેતરપિંડી કરી હતી.
વડોદરા શહેરમાં અવાર નવાર ચેઇન સ્નેચિંગની ઘટનાઓ સામે આવતી હોય છે. આ ઘટનાએ અંજામ આપનાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ગેંગ ઉત્તરપ્રદેશથી કારમાં વડોદરા આવી ચોરીની મોટર સાયકલ ઉપર નાગરિકોના ગળામાં પહેરેલ સોનાની ચેઇનોનું સ્નેચિંગ કરનાર ઉત્તરપ્રદેશની કુખ્યાત આંતરરાજ્ય બાવરિયા ગેંગના સાગરીતને ઉત્તરપ્રદેશ ખાતે ટોલ પ્લાઝાના કર્મચારી બનીને શોધી કાઢી ત્રણ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. બાવરિયા ગેંગના સાગરીતને ક્રાઇમ બ્રાન્ચ ટીમે વેશ પલટો કરીને પકડ્યોવડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉત્તરપ્રદેશના શામલી જિલ્લામાં ટોલ પ્લાઝા પર કર્મચારી તરીકે વેશ ધારણ કરી શંકાસ્પદ મારુતિ અર્ટીગા કારને રોકી હતી. પકડાયેલ આરોપી મેજરસિંગ જોગાસિંગ સિંગ (ઉંમર 28, રહે. અહમદગઢ, તા. કૈરાના, જિ. શામલી)એ પુછપરછમાં કબૂલ્યું કે તે અને તેના ત્રણ સાગરીતો (નિતીન ઉર્ફે ગુલ્લર ક્રીષ્ણા બાવરીયા, સંજય ઉર્ફે સંજુ મુકેશભાઇ બાવરીયા અને સેન્ટી બીટ્ટુ વઢેરા) બે વખત વડોદરા આવ્યા હતા. તેઓ હાલોલ રોડ પર કાર પાર્ક કરી બે સભ્યો વડોદરામાં મોટરસાઇકલ ચોરી કરી ચેઇન સ્નેચિંગ કરતા અને પછી મોટરસાઇકલ છોડી કારમાં પરત ફરતા હતા. ત્રણ ગુનાનો ભેદ ઉકેલ્યોઆ કેસમાં બે ચેઇન સ્નેચિંગ કે જે પાણીગેટ અને કુંભારવાડા પોલીસ સ્ટેશન અને એક મોટરસાઇકલ ચોરી ફતેગંજ પોલીસ સ્ટેશનનાનો ભેદ ઉકેલ્યો છે. ઝડપાયેલ આરોપી પાસેથી રોકડ, કાર અને મોબાઇલ મળી કુલ રૂપિયા 3,04,600 નો મુદામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મોટરસાઇકલ ચોરી કરી ને સોનાની ચેઇનોનું સ્નેચિંગ કરતોઆ ગેંગ પોતાના આર્થિક લાભ માટે ઉત્તરપ્રદેશથી કારમાં આવી શહેર બહાર કાર પાર્ક કરી મોટરસાઇકલ ચોરી કરી ચેઇન તોડી પરત ફરતા હતા. વોન્ટેડ આરોપીઓમાં નિતીન અને સંજય પર ઉત્તરપ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનમાં લૂંટફાટ, હથિયાર અને ગેંગસ્ટર એક્ટ હેઠળ 10થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. 38 ચેઇન સ્નેચિંગના કેસમાંથી 35 ડિટેક્ટ થયા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વર્ષ 2025માં વડોદરામાં 38 ચેઇન સ્નેચિંગના કેસમાંથી 35 ડિટેક્ટ કર્યા છે. જેમાંથી 33 ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યા છે. વર્ષ 2024 અને અન્ય જિલ્લાઓના મળી કુલ 37 કેસ ક્રાઇમ બ્રાન્ચે શોધ્યા છે. પોલીસે સીસીટીવી, ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી ગુન્હાને અંજામ આપનાર સામે કમર કસી છે.
સાપુતારામાં દારૂ-ટ્રાફિક ડ્રાઈવમાં 15 કેસ નોંધાયા:નવા વર્ષની ઉજવણી પૂર્વે પોલીસની કડક કાર્યવાહી
સાપુતારા પોલીસે નવા વર્ષની ઉજવણી પૂર્વે દારૂ અને ટ્રાફિક નિયમોના પાલન માટે સઘન ડ્રાઈવ શરૂ કરી છે. 31 ડિસેમ્બર પહેલાં પ્રવાસીઓની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ જાળવવા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ડ્રાઈવ અંતર્ગત સાપુતારા પોલીસે વિસ્તારમાં સઘન ચેકિંગ, નાકાબંધી અને પેટ્રોલિંગ કર્યું હતું. ખાસ કરીને મહારાષ્ટ્ર તરફથી આવતા વાહનો પર વિશેષ નજર રાખવામાં આવી હતી. આ તપાસમાં દેશી અને વિદેશી દારૂના વેચાણ, વહન અને સેવન સંબંધિત નિયમોના ઉલ્લંઘનના કુલ 15 કેસ નોંધાયા છે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. હેલ્મેટ વગર વાહન ચલાવવું, ઓવરલોડિંગ, ખોટી રીતે પાર્કિંગ અને દસ્તાવેજો વગર વાહન ચલાવવા સહિતના 14 કેસ નોંધાયા છે. આ કાર્યવાહીમાં કુલ 35 ઈ-ચલણ જારી કરાયા હતા, જેમાંથી રૂ. 9,900ની રકમ વસૂલ કરવામાં આવી છે, એમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું છે કે 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈ પણ પ્રકારની અશાંતિ, અકસ્માત કે ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તે માટે આ ડ્રાઈવ ચાલુ રહેશે. પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકોને કાયદાનું પાલન કરવા, દારૂના ગેરકાયદે વેચાણ અને સેવનથી દૂર રહેવા તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. પોલીસનું માનવું છે કે આવા સઘન ચેકિંગ અને કાર્યવાહીથી ગુનાખોરી પર અંકુશ આવે છે અને પ્રવાસન સ્થળે શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે છે. આગામી દિવસોમાં પણ પેટ્રોલિંગ અને ચેકિંગ વધુ કડક બનાવવામાં આવશે, જેથી નવા વર્ષની ઉજવણી સૌ માટે સુરક્ષિત અને આનંદમય બની રહે.
હિંમતનગરમાં 81 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:LCBએ બટાકાની આડશમાં લઈ જવાતો જથ્થો પકડી ચાલકની ધરપકડ કરી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આગીયોલ પાસેથી LCBએ બટાકાની આડશમાં લઈ જવાતો રૂ. 81 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી રૂ. 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે બે વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સાબરકાંઠા LCB PI ડી.સી. સાકરિયા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, પ્રોહિબિશન ડ્રાઇવ અંતર્ગત પોલીસને બાતમી મળી હતી. બાતમીના આધારે શામળાજી તરફથી અમદાવાદ જઈ રહેલા એક ટાટા ટ્રકમાં (નંબર RJ18GA5196) બટાકાના કોથળાઓની આડશમાં વિદેશી દારૂનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો. આ બાતમીના આધારે શામળાજી-અમદાવાદ નેશનલ હાઈવે પર આગીયોલ ગામ નજીક નાકાબંધી ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબનો ટ્રક આવતા તેને રોકવામાં આવ્યો હતો. ટ્રક ચાલકનું નામ બિરબલનાથ રેખનાથ હુનતનાથ ચૌહાણ (ઉં.વ. 40, રહે. લુનકરનસર, બિકાનેર, રાજસ્થાન) હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ દરમિયાન ટ્રકનો સાચો રજીસ્ટ્રેશન નંબર RJ18GA5195 હોવાનું જણાયું હતું. ચાલકની પૂછપરછ કરતા તેણે ટ્રકમાં બટાકાના કોથળાઓની આડશમાં વિદેશી દારૂની પેટીઓ ભરેલી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે ટ્રકના પાછળના ભાગેથી બટાકાના કોથળા હટાવતા વિવિધ બ્રાન્ડની 503 પેટીઓ મળી આવી હતી, જેમાં કુલ 20,436 બોટલ વિદેશી દારૂ હતો, જેની કિંમત રૂ. 81,06,000 આંકવામાં આવી છે. પોલીસે ટ્રક ચાલક પાસેથી બે મોબાઈલ (રૂ. 15,000), રોકડ (રૂ. 1,500), ટાટા ટ્રક (રૂ. 20,00,000), 215 બટાકાના કોથળા (રૂ. 53,750), જીપીએસ ડિવાઇસ (રૂ. 500) અને દારૂનો જથ્થો મળી કુલ રૂ. 1,01,76,750 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા ચાલક સહિત બે વ્યક્તિઓ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસમાં યશવંત નામનો એક વ્યક્તિ ફરાર છે, જેણે ટ્રકમાં વિદેશી દારૂ ભરી આપ્યો હતો. તેનો મોબાઈલ નંબર 7717409867 છે, પરંતુ તેનું પૂરું નામ અને સરનામું હજુ સુધી મળ્યું નથી. પોલીસ તેની શોધખોળ કરી રહી છે.
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક પુત્ર તેના પિતાને ખભે ઉંચકીને હોસ્પિટલની બહાર જતો દેખાય છે. આ વીડિયોને લઈને રાજકીય આક્ષેપો અને વહીવટી ખુલાસાઓનો દોર શરૂ થયો છે. ખભે ઉંચકીને અને ટીંગાટોળી કરીને દર્દીને લઈ જવા મજબૂર24 ડિસેમ્બર 2025ના રોજ સુરત સિવિલના ટ્રોમા સેન્ટર બહારનો આ વીડિયો હોવાનું સામે આવ્યું છે. મોહન નામનો યુવાન તેના પિતા કિશન પ્રધાનને સારવાર માટે સિવિલ લાવ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે મોહન પિતાને ખભે ઉંચકીને ચાલી રહ્યો છે અને તેના શ્વાસ ફૂલી રહ્યા છે. જ્યારે પિતાનો ભાર ન ઝીલાયો ત્યારે અન્ય સગાની મદદથી તેમને ટીંગાટોળી કરીને લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન પુત્રએ આક્ષેપ કર્યો હતો કે, સિવિલમાં કોઈ પૂછતું નથી, એટલે અમારે પિતાને અન્ય હોસ્પિટલ લઈ જવા પડે છે. 'આરોગ્ય મંત્રી હોવા છતાં ગરીબ દર્દીઓની આવી દશા'કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે સુરત પાસે કેન્દ્રીય મંત્રી અને આરોગ્ય મંત્રી હોવા છતાં ગરીબ દર્દીઓની આવી દશા છે. તેમણે હોસ્પિટલના સ્ટાફની કાર્યશૈલી અને નેતાઓની ખુશામતખોરી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. સ્ટાફને જાણ કર્યા વગર દર્દીને લઈ ગયા-ઇન્ચાર્જ RMOસામે પક્ષે, નવી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ RMO ડો. લક્ષ્મણભાઈએ સ્પષ્ટતા કરી હતી કે, ઘટના 24 તારીખની છે. દર્દીને 108 મારફતે લાવવામાં આવ્યા હતા અને ડોક્ટરો તેમની ડ્યુટી પર હતા. પરંતુ પરિવારજનો ડોક્ટરને કહ્યા વગર જ દર્દીને લઈને હોસ્પિટલથી ચાલ્યા ગયા હતા. જો તેમણે સ્ટાફ પાસે મદદ માંગી હોત તો ચોક્કસપણે વ્હીલચેર કે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હોત.
મુખ્યમંત્રીએ આંગણવાડીના બાળકો સાથે સમય વિતાવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના SG હાઇવે પર આવેલા ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં આંગણવાડીના નાના બાળકો સાથે સમય વિતાવ્યો.તેમણે બાળકો સાથે ટોય ટ્રેનમાં રાઈડ લીધી. તેમની કવિતાઓ, બાળગીતો સાંભળ્યા અને છેલ્લે રમકડાં વહેંચ્યા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ભગવા સેનાએ ક્રિસમસની ઉજવણીનો વિરોધ નોંધાવ્યો અમદાવાદના પેલેડિયમ મોલમાં ભગવા સેનાએ ક્રિસમસની ઉજવણીને લઈ વિરોધ નોંધાવ્યો.ભગવા સેનાના કાર્યકર્તાઓએ મોલમાં રાખેલા ક્રિસમસ ટ્રીની સજાવટમાં તોડફોડ કરી.વિરોધને પગલે પોલીસે તમામની અટકાયત કરી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો અમિત શાહ આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવતીકાલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. કાલે તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.સાથે જ આઈકોનિક SG હાઈવેના પ્રથમ તબક્કાના પાઈલટ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો હેલ્મેટ ન પહેરનારને ફાઈન નહીં ફૂલ આપોઃસંઘવી સુરતમાં 'અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન'ના ઉદ્ઘાટન સમયે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હેલ્મેટને લઈ નિવેદન આપ્યું.તેમણે કહ્યું, હેલ્મેટ ન પહેરનારને ફાઈન નહીં ફૂલ આપો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો હત્યાના આરોપીઓને પોલીસે લાકડીઓથી ફટકાર્યા ભરત ચૌધરીના હત્યારાઓને પોલીસે લાકડીઓથી ફટકાર્યા.પાલનપુરમાં 20 ડિસેમ્બરે થયેલી હત્યામાં કેસમાં પોલીસે છ આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું. આ સમયે આરોપીને ફાંસી આપો અને ગુજરાત પોલીસ જિંદાબાદ'ના નારા લાગ્યાં. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો આજથી વિસરાતી વાનગીઓનો મહોત્સવ શરૂ આજથી અમદાવાદની ભાગવત વિદ્યાપીઠમાં વિસરાતી વાનગીઓનો મહોત્સવ શરૂ થયો છે. મહોત્સવમાં ગરમ વાનગીના કુલ 70 સ્ટોલ છે, જેમાં 450 કરતા વધારે વિસરાતી વાનગીઓ બનાવવામાં આવી છે. આ મહોત્સવમાં 31 ડિસેમ્બર સુધી ચાલશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી સમાધાન માટે એક કરોડ માગ્યા મોરબીમાં વૃદ્ધને એક ટોળકીએ હનીટ્રેપમાં ફસાવ્યા.ખેડૂત કામ માટે મહિલાને વાડીએ લઈ ગયા તો મહિલાએ પોતાના કપડાં ઉતારી ખેડૂતને બાથ ભરી લીધી. બાદમાં વીડિયો ઉતારી સમાધાન માટે એક કરોડ માગ્યા. ખેડૂતે 53.50 લાખ આપ્યા છતા બાકીના પૈસા માટે ખેડૂતનું અપહરણ કરી ગોંધી રાખ્યા હતા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો બાયોડાયવર્સિટી પાર્કમાં દારૂની પોટલીઓનું સામ્રાજ્ય સુરતના અટલ બિહારી વાજપેયી બાયોડાયવર્સિટી પાર્કમાં દારૂની ખાલી પોટલીઓ ઉડતી જોવા મળી. રાત્રિના સમયે સિક્યુરિટી ગાર્ડની ગેરહાજરીમાં નશાખોરો લોખંડની ફેન્સિંગને કટર વડે કાપી અંદર પ્રવેશ કરે છે. અને પછી 9 લાખ વૃક્ષોની ગીચતાનો લાભ લઈ દારૂની મહેફિલ માણે છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો થર્ટી ફસ્ટ પહેલાં 60 લાખના દારુ ઝડપાયો થર્ટી ફસ્ટ પહેલાં SMCએ અમરેલીમાં સપાટો બોલાવ્યો. મોડી રાત્રે દરોડો પાડી 60 લાખના વિદેશી દારૂ સાથે એક કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.1 આરોપી ઝડપાયો જ્યારે 16 આરોપી ફરાર છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો નબીરાએ કારને 360 ડિગ્રી ફેરવી ભયાનક સ્ટંટ કર્યા સુરતમાં નબીરાએ જાહેર માર્ગો પર સ્ટંટ કરી પોતાની સાથે લોકોના જીવ પણ જોખમમાં મુક્યા. નબીરાએ કારને ફૂલ સ્પીડમાં હંકારી મહાવીર યુનિવર્સિટીની સામે કારને 360 ડિગ્રીમાં લગભગ ચાર વાર ગોળ-ગોળ ફેરવી ભયાનક સ્ટંટ કર્યા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
નવસારીમાં સિટી બસથી રિક્ષાચાલકોને મુશ્કેલી, બેઠક યોજાઈ:ભાડું રૂ.10 કરવા અને સ્ટોપ વધારવાની માંગ
નવસારીમાં પશ્ચિમ વિભાગના રિક્ષાચાલકોની એક બેઠક રેલવે સ્ટેશન ખાતે સાંજે ત્રણ કલાકે યોજાઈ હતી. આ બેઠકમાં શહેરમાં નવી શરૂ થયેલી સિટી બસ સેવાને કારણે રિક્ષાચાલકોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. રિક્ષાચાલકોએ જણાવ્યું કે સિટી બસ સેવા શરૂ થવાથી તેમની આવક પર મોટો ફટકો પડ્યો છે. સરકારે આ બસો સામાન્ય જનતા માટે શરૂ કરી છે, પરંતુ રિક્ષાચાલકો પણ સામાન્ય નાગરિકો છે અને તેમાંના ઘણા ગરીબી રેખા નીચે જીવે છે. અગાઉ, પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે પણ રિક્ષાચાલકોના હિતમાં નિવેદન આપ્યું હતું. રિક્ષાચાલકોની મુખ્ય માંગ છે કે સિટી બસનું લઘુત્તમ ભાડું ₹10 કરવામાં આવે. આ ઉપરાંત, દર એક કિલોમીટરે એક બસ સ્ટોપ ઊભું કરવામાં આવે, જેથી રિક્ષાચાલકોને પણ મુસાફરો મળી રહે અને તેમની રોજીરોટી પર ઓછી અસર થાય. નવસારી શહેરમાં રિક્ષાચાલકો લાંબા સમયથી સિટી બસને કારણે આર્થિક ભારણનો સામનો કરી રહ્યા છે. તેમણે સરકારને તેમની પરિસ્થિતિ પર ધ્યાન આપવા અને યોગ્ય પગલાં લેવા વિનંતી કરી છે.
બોપલમાં ભાગવત કથાનો સાતમો દિવસ:માઁ કનકેશ્વરી દેવીજીના મુખેથી શ્રીમદ ભાગવત કથાનું આયોજન
અમદાવાદના બોપલ ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનો આજે સાતમો દિવસ છે. પ. પૂજ્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર માઁ કનકેશ્વરી દેવીજીના શ્રીમુખેથી આ કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે.
વાગરા મામલતદાર કચેરી ખાતે સુશાસન દિવસ નિમિત્તે અદ્યતન જનસેવા સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ધારાસભ્ય અરૂણસિંહ રણા અને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની ઉપસ્થિતિમાં 'કેફે જનસેવા', જનસેવા કેન્દ્ર, ઇ-ધરા કેન્દ્ર, 'મારી યોજના' કક્ષ, મિટિંગ હોલ અને જનસેવા વનનો શુભારંભ થયો હતો. વાગરા તાલુકામાં અરજદારોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આધુનિક જનસેવા કેન્દ્રનું નિર્માણ આશરે ₹20 લાખના ખર્ચે કરવામાં આવ્યું છે. આ કેન્દ્રમાં 7/12 અને 8-અ ના ઉતારા, જાતિના દાખલા, રેશનકાર્ડ, આધારકાર્ડ જેવી વિવિધ સરકારી સેવાઓ નાગરિકોને એક જ સ્થળે સરળતાથી ઉપલબ્ધ થશે. આ જનસેવા સંકુલમાં 'મારી યોજના' પ્લેટફોર્મ પણ શરૂ કરાયું છે. આ પ્લેટફોર્મ દ્વારા સરકારની 680 થી વધુ કલ્યાણકારી યોજનાઓની વિગતવાર માહિતી છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવામાં આવશે. અરજદારો પોતાની પાત્રતા મુજબ કઈ યોજનાઓનો લાભ લઈ શકે તેની સચોટ માહિતી અહીંથી મેળવી શકશે, જેથી તેમને યોજનાઓ જાણવા માટે ભટકવું નહીં પડે. વહીવટી તંત્ર દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે 'જનસેવા વન'ની પણ સ્થાપના કરવામાં આવી છે. મામલતદાર કચેરી ખાતે 5000 ચોરસ ફૂટ વિસ્તારમાં મિયાંવાકી જાપાનીઝ પદ્ધતિથી 325 વૃક્ષોનું વાવેતર કરીને આ વન વિકસાવવામાં આવ્યું છે. લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય, કલેક્ટર, પ્રાંત અધિકારી અને મામલતદારના હસ્તે વૃક્ષારોપણ કરીને પ્રકૃતિ સંરક્ષણનો સંદેશ અપાયો હતો. સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે સંસ્થાના સહયોગથી 'કેફે જનસેવા' નામની આધુનિક કેન્ટીન પણ શરૂ કરાઈ છે. સરકારી કચેરીએ આવતા નાગરિકોને સ્વચ્છ અને સુવિધાયુક્ત વાતાવરણમાં ગુણવત્તાયુક્ત સેવાઓ મળી રહે તે હેતુથી આ કેન્ટીન કાર્યરત કરવામાં આવી છે. ઉપસ્થિત મહાનુભાવોએ જનસેવા કેન્દ્ર અને કેફે જનસેવાની સુવિધાઓની મુલાકાત લીધી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ નવીન સંકુલથી નાગરિકોને સરળ અને ઝડપી સેવાઓ મળશે, તેમજ અરજદારોને યોજનાકીય લાભો સરળતાથી મળે તે માટે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચના પ્રાંત અધિકારી, મામલતદાર, સ્થાનિક અગ્રણીઓ, મામલતદાર કચેરીના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
જામનગરમાં એક સોની વેપારીનું આશરે 8 લાખ રૂપિયાની કિંમતનું 50 થી 60 ગ્રામ સોનું લઈને એક બંગાળી કારીગર ફરાર થઈ ગયો છે. આ ઘટનાથી સોની બજારમાં ભારે ચકચાર મચી ગઈ છે. વેપારીએ આ અંગે પોલીસમાં અરજી કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ કારીગર વેપારીની દુકાનમાં છેલ્લા 20 વર્ષથી વધુ સમયથી કામ કરતો હતો. તે કોલકાતાનો રહેવાસી છે અને તેની ઉંમર આશરે 38 વર્ષ છે. કારીગર રાતોરાત સોનું લઈને ગાયબ થઈ ગયો હતો. આ ઘટના બાદ સોની અને ચાંદી બજારમાં આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે. વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવવા ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ આ બંગાળી કારીગરની તસવીર મૂકી છે. તેમણે લોકોને આ કારીગર અંગે કોઈ જાણકારી હોય તો આપવા અપીલ કરી છે. હાલમાં સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે, જ્યાં એક ગ્રામ શુદ્ધ સોનાનો ભાવ 14,000 રૂપિયાથી વધુ છે. આવા સમયે આટલી મોટી કિંમતનું સોનું ગુમ થવાથી વેપારીને મોટું નુકસાન થયું છે.
લીંબડીમાં 6.11 કરોડના ST ડેપોનું ખાતમુહૂર્ત:આવતીકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે થશે
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આધુનિક એસ.ટી. ડેપો-વર્કશોપનું નિર્માણ કરવામાં આવશે. રૂ. 6.11 કરોડના અંદાજિત ખર્ચે બનનારા આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત આવતીકાલે, રવિવાર, 28 ડિસેમ્બર, 2025 ના રોજ સવારે 10.30 કલાકે લીંબડી ડેપોના પટાંગણમાં યોજાશે. આ ખાતમુહૂર્ત વિધિ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા અને વાહનવ્યવહાર મંત્રી પ્રવિણભાઈ માળીના વરદહસ્તે સંપન્ન થશે. આ પ્રસંગે સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ અને ધારાસભ્ય કિરીટસિંહ રાણા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. વાહનવ્યવહાર વિભાગના અગ્ર સચિવ હરીત શુકલા અને નિગમના વહીવટી સંચાલક એમ.નાગરાજન પણ હાજર રહી માર્ગદર્શન આપશે. આ નવનિર્મિત ડેપો-વર્કશોપ 35,005 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં સાકાર થશે. તેમાં 1,368 ચોરસ મીટરનું મજબૂત આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચર ધરાવતું બાંધકામ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ મુસાફરોની સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવાના GSRTC ના અભિગમનો એક ભાગ છે. આ સંકુલમાં ડેપો મેનેજરની ઓફિસ, એડમિન રૂમ, ટાયર અને બેટરી રૂમ જેવી વહીવટી સવલતો ઉપલબ્ધ કરાવાશે. બસોના મેઈન્ટેનન્સ માટે આધુનિક લોન્ગ પીટ અને યુ પીટ જેવી ટેકનિકલ સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે. કર્મચારીઓના કલ્યાણને ધ્યાનમાં રાખીને, વર્કશોપના પ્રથમ માળે વર્કર રૂમ, રેકોર્ડ રૂમ, મહિલા કર્મચારીઓ માટે ખાસ રેસ્ટ રૂમ અને તાત્કાલિક સારવાર માટે ડિસ્પેન્સરી રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
બાપુનગરની બાળકૃષ્ણ શાળામાં વિજ્ઞાન મેળો યોજાયો:વિદ્યાર્થીઓએ વિવિધ પ્રોજેક્ટ્સ અને મોડલ રજૂ કર્યા
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી બાળકૃષ્ણ પ્રાથમિક શાળામાં આજે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રોજેક્ટ્સ અને મોડલ રજૂ કર્યા હતા. આ પ્રદર્શનમાં બાળકોએ પોતાના વૈવિધ્યસભર કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. આ પ્રવૃત્તિનો ઉદ્દેશ્ય ભવિષ્યના સમૃદ્ધ ભારતના નિર્માણ માટે વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને કૌશલ્યનો વિકાસ કરવાનો હતો. આ પ્રસંગે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી તુષારભાઈ, ટ્રસ્ટી શ્રી દિગંતભાઈ અને શ્રીમતી સૂર્યાબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બાળકૃષ્ણ પ્રાથમિક શાળાના આચાર્યા શ્રીમતી નીરૂબેન શાહ દ્વારા ટ્રસ્ટીગણને વિજ્ઞાન મેળાની વિગતવાર માહિતી આપવામાં આવી હતી અને તેમણે પ્રદર્શન ખુલ્લું મૂક્યું હતું. બાળકૃષ્ણ શાળા પરિવારની અન્ય શાળાઓના વિદ્યાર્થીઓ અને વાલીઓએ પણ ઉત્સાહભેર આ પ્રદર્શન નિહાળ્યું હતું.
એલ.જે. યુનિવર્સિટીના એલ.જે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્મસી દ્વારા ફેકલ્ટી અને નોન-ટીચિંગ સ્ટાફ માટે સિક્રેટ સાન્ટા ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્ટાફ વચ્ચે સહકાર અને ટીમ બોન્ડિંગને પ્રોત્સાહન આપવાનો હતો. ઉજવણીની શરૂઆત પરંપરાગત સિક્રેટ સાન્ટા ગિફ્ટ એક્સચેન્જથી થઈ. જેમાં ફેકલ્ટી અને નોન-ટીચિંગ સભ્યોએ એકબીજાને ભેટો આપીને આનંદ અને આત્મીયતાનો માહોલ બનાવ્યો. કાર્યક્રમને વધુ ઉત્સાહપૂર્ણ બનાવવા માટે આયોજક સમિતિ દ્વારા વિવિધ રમતોનું આયોજન કરાયું હતું. આમાં ટ્રેઝર હન્ટ, વન મિનિટ ગેમ્સ અને ગીત પરથી વસ્તુ ઓળખવાની રમતનો સમાવેશ થતો હતો. સ્ટાફ મેમ્બર્સે આ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો, જેનાથી કાર્યક્રમ જીવંત અને મનોરંજક બન્યો. આવા અનૌપચારિક કાર્યક્રમો પરસ્પર સંબંધોને મજબૂત બનાવવામાં, કાર્યસંબંધિત તણાવ ઘટાડવામાં અને સકારાત્મક કાર્યસંસ્કૃતિ વિકસાવવામાં મદદરૂપ થાય છે. કાર્યક્રમનો અંત સૌના ચહેરા પર સ્મિત સાથે થયો. ફેકલ્ટી અને નોન-ટીચિંગ સ્ટાફ યાદગાર પળો સાથે સંસ્થામાં એકતા અને સહયોગની ભાવનાને વધુ મજબૂત બનાવીને પરત ફર્યા.
વેરાવળ સ્થિત સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય ખાતે ૧૮ થી ૨૦ ડિસેમ્બર, ૨૦૨૫ દરમિયાન ત્રિદિવસીય વૈદિક ગણિત કાર્યશાળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં પાટણના ડૉ. ધનરાજ ઠક્કર અને ડૉ. રૂપેશ ભાટિયાએ વૈદિક ગણિતના તજજ્ઞ તરીકે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેના સમાપન સત્રમાં તેમનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું. સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય અને કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય દ્વારા સંચાલિત સંસ્કૃત સંવર્ધન યોજના અંતર્ગત આ કાર્યશાળા યોજાઈ હતી. જેમાં સમાજના વિવિધ ક્ષેત્રોમાંથી, કોલેજના સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ તેમજ સોલા ભાગવત વિદ્યાપીઠ, અમદાવાદના વિદ્યાર્થીઓ સહિત આશરે ૮૦ જેટલા પ્રતિભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પાટણની શેઠ એમ. એન. હાઈસ્કૂલના આચાર્ય ડૉ. ધનરાજ ઠક્કર અને સિદ્ધપુરની અભિનવ હાઈસ્કૂલના આચાર્ય ડૉ. રૂપેશ ભાટિયાએ વૈદિક ગણિતના મહત્વ સાથે વિવિધ સૂત્રોની મદદથી ગુણાકાર, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, સંખ્યાઓ અને બહુપદીઓના ગુણાકાર-ભાગાકાર જેવી પ્રક્રિયાઓ સરળ અને ઝડપી પદ્ધતિથી સમજાવી હતી. પ્રતિભાગીઓએ આ પદ્ધતિઓને ખૂબ આવકારી હતી. ૨૦ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ કાર્યશાળાના સમાપન સત્રમાં સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રોફેસર સૂકાન્તકુમાર સેનાપતિ, કુલસચિવ મહેશભાઈ મેતરા, વિનોદભાઈ ઝા, નરેન્દ્રભાઈ પંડ્યા, કાર્યશાળાના સંયોજક ડૉ. વિપુલકુમાર જાદવ અને સંયોજિકા ડૉ. અમિષા દવે ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય અને વૈદિક મંગલાચરણ સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો. આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રોફેસરો, ડૉ. ધનરાજ ઠક્કર, ડૉ. રૂપેશ ભાટિયા અને પ્રતિભાગીઓએ વૈદિક ગણિતની ઉપયોગિતા અંગે પોતાના અનુભવો અને પ્રતિભાવો વ્યક્ત કર્યા. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તમામ પ્રતિભાગીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા. પાટણથી પધારેલા ડૉ. ધનરાજ ઠક્કર અને ડૉ. રૂપેશ ભાટિયાનું શાલ, મોમેન્ટો, પુષ્પગુચ્છ અને સન્માનપત્ર દ્વારા વિશિષ્ટ સન્માન કરાયું. ઉલ્લેખનીય છે કે ડૉ. ધનરાજ ઠક્કર અને ડૉ. રૂપેશ ભાટિયા ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરાયેલ ધોરણ ૬ થી ૧૦ના વૈદિક ગણિતના પાઠ્યપુસ્તકોમાં લેખક અને સમીક્ષક તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે સમગ્ર ગુજરાત ઉપરાંત હિમાચલ પ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યોમાં પણ વૈદિક ગણિત વિષયક સેમિનારો યોજી રાષ્ટ્રીય સ્તરે તજજ્ઞ તરીકે મહત્વની ભૂમિકા ભજવી છે. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી કુલપતિ પ્રો. સૂકાન્તકુમાર સેનાપતિએ જણાવ્યું હતું કે, “સંસ્કૃત સર્વ વિષયોની જનની છે. આવી કાર્યશાળાઓ દ્વારા વૈદિક જ્ઞાનની પરંપરા વધુ મજબૂત બનશે.” તેમણે આગામી સમયમાં વૈદિક ગણિત વિષયક વિશેષ સંગોષ્ઠિ યોજવાની પણ ભાવના વ્યક્ત કરી.
રાહી ફાઉન્ડેશન દ્વારા નારણપુરાના સૂરજ હિન્દી વિદ્યાલય ખાતે 800થી વધુ શ્રમજીવી પરિવારના બાળકો અને બહેનોને વેજીટેબલ ખીચડી અને મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ફાઉન્ડેશનના 207મા ખીચડી વિતરણ પ્રોજેક્ટ અંતર્ગત યોજાયો હતો. આ વિતરણ કાર્યક્રમ સૂરજ હિન્દી વિદ્યાલય, 132 ફૂટ રિંગ રોડ, નારણપુરા ખાતે આયોજિત કરાયો હતો. જેમાં 800થી વધુ શ્રમજીવી પરિવારોના બાળકોએ વેજીટેબલ ખીચડી અને મસાલા છાશનો લાભ લીધો હતો. આ કાર્યક્રમના સફળ આયોજનમાં શ્રી સુરેશભાઈ ઘડિયા (USA) પરિવારનો સહયોગ પ્રાપ્ત થયો હતો, જેમનો ફાઉન્ડેશન દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રાહી ફાઉન્ડેશન તરફથી સર્વશ્રી જયેશ પરીખ, નિહારિકા પરીખ, બીના શાહ, કૌશિક શાહ, ભદ્રેશ પટેલ, મહેન્દ્ર પટેલ, અશોક દલાલ, શરદ જાદવ, ભરત શાહ, માર્કણ્ડભાઈ, પરેશ સંઘવી, પ્રદીપ શાહ, પ્રશાંત દાણી અને વિજય દલાલ ઉપસ્થિત રહીને વિતરણ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું. શાળાના પ્રિન્સિપાલ યાદવ સાહેબનો સુંદર વ્યવસ્થા બદલ આભાર માનવામાં આવ્યો હતો.
સાળંગપુરધામ સ્થિત શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં શનિવાર, 27 ડિસેમ્બર, 2025 ના રોજ વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી દાદાને પરંપરાગત વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા. મંદિરના ગર્ભગૃહને ગામડાની ઝાંખી (વિલેજ થીમ) થી સજાવવામાં આવ્યું હતું. આ શણગારમાં ઘાસના છાપરાવાળું ઝૂંપડું, માટીના ઘર પર લિપણ-ભાત (વારલી આર્ટ), ગાયોના શિલ્પો અને ગ્રામીણ જીવનની પ્રતિકૃતિઓનો સમાવેશ થતો હતો. મંગળા આરતી સવારે 5.30 કલાકે પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી, જ્યારે શણગાર આરતી સવારે 7.00 કલાકે કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા સંપન્ન થઈ હતી. મંદિરના પરિસરમાં વિશેષ મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર ધનુર્માસ દરમિયાન પારિવારિક શાંતિ અને વિશ્વ કલ્યાણ અર્થે શ્રી હરિ મંદિરમાં શ્રી હનુમાન ચાલીસાના પાઠ તેમજ ૐ નમો હનુમતે ભયભંજનાય સુખમ્ કુરુ ફટ્ સ્વાહા પાઠનો જપ યજ્ઞ પણ કરવામાં આવી રહ્યો છે. હજારો ભક્તોએ દાદાના દિવ્ય શણગારના દર્શન કર્યા હતા અને મંદિર દ્વારા આયોજિત મહાપ્રસાદનો લાભ લીધો હતો. આજે સાંજે ૪:૦૦ કલાકે દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
VNSGUમાં ગ્રામ અભ્યાસ ભવનનું ઉદ્ઘાટન કરાયું:રાજ્યકક્ષાના મંત્રી ડો. જયરામ ગામીતે કર્યું લોકાર્પણ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ના મહાત્મા ગાંધી ગ્રામ અભ્યાસ વિભાગના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન 26 ડિસેમ્બર, 2025 ના રોજ સાંજે ત્રણ કલાકે કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી ડો. જયરામભાઈ ગામીતે આ ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમનું આયોજન યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોરસિંહ એન. ચાવડાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં ગુજરાત રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા અને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા ઉદ્ઘાટક અને મુખ્ય મહેમાનો તરીકે ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે તેઓ હાજર રહી શક્યા ન હતા. નવનિર્મિત ભવનના સેમિનાર હોલમાં અભિવાદન સમારંભ અને પ્રવચનનું આયોજન કરાયું હતું. કાર્યક્રમનો આરંભ યુનિવર્સિટી ગીતના ગાનથી થયો હતો. ત્યારબાદ મંચ પર ઉપસ્થિત મંત્રી ડો. જયરામભાઈ ગામીત, કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડા, કુલ સચિવ ડો. રમેશદાન ગઢવી, ગ્રામ અભ્યાસ વિભાગના વડા ડો. દીપક ભોયે અને પૂર્વ વડા શ્રી વિપુલ સોમાણી દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. વિભાગના વડા ડો. દીપક ભોયેએ નવનિર્મિત વિભાગનો સંક્ષિપ્ત પરિચય આપ્યો હતો. તેમણે જણાવ્યું કે કુલ28,855 ચોરસ ફૂટ ક્ષેત્રફળમાં બંધાયેલ આ નવા ભવન માટે ગુજરાત સરકારની EDN-30 હેઠળ કુલ 4,06,80,000રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તેમણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને ઉમેર્યું હતું કે આ વિભાગ 1970 માં શરૂ થયો હતો અને હાલમાં ૫૫ વર્ષ પૂર્ણ કર્યા છે. અધ્યક્ષ સ્થાનેથી પ્રવચન કરતા યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોરસિંહ એન. ચાવડાએ આપણી યુનિવર્સિટી આપણું ગૌરવ સૂત્ર સાથે પોતાના સંક્ષિપ્ત પ્રવચનનો આરંભ કર્યો હતો અને ઉપસ્થિત સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. રાજ્યકક્ષાના મંત્રી ડો. જયરામભાઈ ગામીતે પ્રસંગને અનુરૂપ વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને આવકાર અને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે યુનિવર્સિટીની જૂની યાદો તાજી કરતા ભૂતપૂર્વ સાથી વિદ્યાર્થીઓ, તત્કાલીન અધ્યાપકો અને વિભાગના વડાઓનું સ્મરણ કર્યું હતું.
પાટણ GEC માં વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી:વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ યોગ-ધ્યાનનો અભ્યાસ કર્યો
પાટણની સરકારી ઇજનેરી કોલેજ (GEC) ના એન.એસ.એસ. યુનિટ દ્વારા ૨૧ ડિસેમ્બરે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજના ઓલ્ડ એમિનિટી બ્લોક સામે યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રોફેસરો, એન.એસ.એસ. સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમ સાંજે ૮:૧૫ થી ૯:૧૫ વાગ્યા સુધી ચાલ્યો હતો. જેમાં ઉપસ્થિત સૌને સૂર્ય નમસ્કાર, ધ્યાન અને વિવિધ યોગાસનોનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. આ સત્રો દ્વારા સહભાગીઓને શારીરિક સ્વસ્થતા, માનસિક શાંતિ અને એકાગ્રતાનો અનુભવ થયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં માનસિક આરોગ્ય, આંતરિક શાંતિ અને સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. આ ઉજવણી GEC પાટણના એન.એસ.એસ. યુનિટની સક્રિયતા અને સમાજોપયોગી દૃષ્ટિકોણને દર્શાવે છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય અને એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ.ના સ્વયંસેવકો દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
મોરબી નજીકના શનાળા ગામ પાસે આવેલા ગોકુલનગર વિસ્તારમાં રહેતી પીન્ટુબેન કંઝારીયાએ તાજેતરમાં સીઆઈએસએફ (CISF)ની તાલીમ પૂર્ણ કરી છે. તેમને દિલ્હી સંસદ ભવન ખાતે પ્રથમ પોસ્ટિંગ મળ્યું છે. પ્રથમ વખત વતનમાં પરત ફરતા, કંઝારીયા પરિવાર અને મોરબીના લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. મનજીભાઈ પોપટભાઈ કંઝારીયાની દીકરી પીન્ટુબેન ભારતીય સેનામાં સીઆઈએસએફમાં જોડાયા હતા. તેમણે કમાન્ડો સુધીની તાલીમ લીધી છે. તેમની પ્રથમ પોસ્ટિંગ દિલ્હી સંસદ ભવન ખાતે થઈ છે. વતનમાં પરત ફરતા, મોરબીના ભક્તિનગર સર્કલથી પીન્ટુબેન કંઝારીયાના ઘર સુધી સ્વાગત યાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રસંગે કંઝારીયા અને સતવારા સમાજના અગ્રણીઓ તેમજ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પીન્ટુબેન કંઝારીયાનું સાલ ઓઢાડીને અને રામ મંદિરની પ્રતિકૃતિ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતી યુવાનોમાં સેનામાં ભરતી થવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અને આવા યુવાનોનું વતનમાં સન્માન કરવાની પરંપરા જળવાઈ રહી છે.
રાજકોટ શહેરમાં 31st ડિસેમ્બરને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા એક્શન પ્લાન બનાવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને ન્યુયર પાર્ટીના સેલિબ્રેશન પર પ્રોહિબિશન તેમજ માદક પદાર્થનું સેવન કરી ફરતા લોકોને અટકાવવા માટે પોલીસે એક્સન પ્લાન બનાવ્યો છે અને અત્યારથી જ પોલીસે આ માટે કડક ચેકીંગ શરૂ કરી દીધું છે. સરકાર તરફથી રાજકોટ SOGને મોબાઈલ ફોરેન્સિક વાન આપવામાં આવી છે જેની મદદથી ખાસ ચેકીંગ શરૂ કરી માદક પદાર્થનું સેવન કરી નીકળતા શખ્સોને સ્થળ પર ચકાસી કાર્યવાહી કરી શકાય તે માટે આધુનિક ટેક્નોલોજી ઉપયોગ કરી પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે અને આ ચેકીંગ ઝુંબેશ 31 ડિસેમ્બર સુધી સતત યથાવત પણ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં આ વર્ષે ન્યુયર પાર્ટીના આયોજન માટે હજુ સુધી માત્ર 8 અરજદારોએ જ એપ્લાય કરી મંજૂરી માંગવામાં આવી છે જો કે પોલીસે આ પૈકી એક પણને મંજૂરી આપી નથી જેની સ્થળ યપાસ તેમજ જરૂરી દસ્તાવેજી પુરાવા ચેક કરી બાદમાં મંજૂરી આપવામાં આવશે અને જો કોઈ આયોજન મંજૂરી વગર થશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજકોટમાં નવા વર્ષને આવકારવા યુવાવર્ગ દ્રારા ઉજવણીઓ કરવામાં આવતી હોય છે અને આ ઉજવણીમાં કોઈ અનીચ્છીય બનાવ ન બને તે માટે પોલીસ કમીશનર બજેશ કુમાર ઝા દ્વારા ચુસ્ત પેટ્રાલીંગનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ક્રાઈમ બ્રાંચ, પીસીબી, એસઓજી તેમજ લોકલ એલસીબી સહીત પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. 31 ડિસેમ્બરની રાત્રે 8 વાગ્યાથી પોલીસ દ્રારા તમામ જગ્યા પર પેટ્રોલીંગ શરૂ કરવામાં આવશે તેમજ કેટલાક મહત્વના ચોક પાસે વાહન ચેકીંગ પણ કરવામાં આવશે અને નશો કરી નીકળતા વાહન ચાલકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજકોટ શહેર પોલીસને મંજૂરી અર્થે 8 જેટલા પાર્ટીના આયોજકો દ્વારા મંજૂરી માગવામાં આવી છે. જે તમામ આયોજકોના નિવેદન નોંધી સ્થાનિક પોલીસ સ્ટેશન અને ત્યારબાદ લાઇસન્સ બ્રાન્ચ દ્વારા જરૂરિયાત મુજબ દસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કરી બાદ મંજૂરી આપવામાં આવશે. હજુ સુધી એક પણ પાર્ટીના આયોજકોને મંજૂરી આપવામાં આવી નથી પરંતુ યોગ્ય પુરાવા રજૂ કરનાર આયોજકોને મંજૂરી તપાસ બાદ આપવામાં આવશે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રીના સમયથી જ રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મોબાઈલ એફએસએલની ટીમને સાથે રાખીને નશીલા દ્રવ્યોનું સેવન કરનારા વ્યક્તિઓને ઝડપી પાડવા માટે ઓન રોડ ચેકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જે સ્પેશિયલ ડ્રાઇવ ન્યુ યર સુધી રોજ શરૂ રાખવામાં આવશે. દરેક પોલીસ સ્ટેશનમાં બ્રેથ એનેલાઈઝર પણ આપવામાં આવ્યા છે જેનો ઉપયોગ કરી શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનને પણ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવને લગતા કેસ કરવામાં આવશે. ન્યુ યરની પાર્ટીના આયોજકોએ આયોજન સ્થળ પર ખાનગી સિક્યોરિટી અને સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત રહેશે. તેમજ મંજૂરી વગર પાર્ટીના આયોજન કરનારા આયોજકો વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પોલીસની કડક ચેકીંગ ઝુંબેશને જોઈ ખાનગી ફાર્મ હાઉસમાં પાર્ટી યોજવામાં આવતી હોવાના નવા ટ્રેન્ડ સામે પણ પોલીસ દ્વારા એક્શન પ્લાન બનાવી ખાનગી ફાર્મ હાઉસ પર પાર્ટી યોજી નશીલા દ્રવ્યો કે ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરવા સૂચના આપવામાં આવી છે આમ છતાં કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ કરતા ઝડપાસે તો તેમના વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને ડ્રોન મારફત પણ SOG દ્વારા ખાસ નજર રાખવામાં આવશે. આ ઉપરાંત મહિલાઓની સુરક્ષા માટે સી ટીમ તેમજ 112 ના સ્ટાફને સ્ટેન્ડ બાય રાખવામાં આવશે.
13 માર્ચ, 2026એ ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી:25 મેમ્બરની ચૂંટણી પ્રેફરન્સિયલ મતદાનથી યોજાશે
દેશના તમામ સ્ટેટ બાર કાઉન્સિલ માટે ગાઈડલાઈન જાહેર થઈ છે. એક ગાઇડલાઇન મુજબ દેશના તમામ સ્ટેટ બાર કાઉન્સિલની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગુજરાત બાર કાઉન્સિલ ચૂંટણી 13 માર્ચ, 2026ના રોજ યોજાશે. ચૂંટણીની પ્રક્રિયા માટે કમલ ત્રિવેદીનું નામ જાહેરસમગ્ર ગુજરાતના તમામ વકીલો જેનું મતદાનમાં નામ હશે એ લોકો 13 માર્ચના રોજ મતદાન કરશે. આ મતદાન પ્રેફરન્સિયલ મતથી કરાશે. 25 મેમ્બરોની ચૂંટણી થશે. આખા ગુજરાતમાંથી 5 સીટ મહિલા અનામત છે અને આખી ચૂંટણીની પ્રક્રિયા માટે ગુજરાત ઇલેક્શન 2026 કોર્ડિનેટર કમલ ત્રિવેદીનું નામ બોર્ડે જાહેર કર્યું છે. સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન જારી કરીમુખ્ય ચૂંટણી કમિશનર તરીકે એચ.એમ.પરીખ સિનિયર કાઉન્સિલ ગુજરાત હાઇકોર્ટનું નામ જાહેર કર્યું છે. જોઇન્ટ ચૂંટણી કમિશનર તરીકે મિલન.એન.પટેલનું નામ જાહેર કર્યું છે. ઓબ્ઝર્વર પૂર્વ જસ્ટિસ.ડી કે ત્રિવેદી 13 માર્ચ, 2026ના રોજ સમગ્ર ગુજરાતના વકીલોનું મતદાનની ડેટ આજરોજ ગુજરાત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના બોર્ડે જાહેર કરી છે અને આ સુપ્રીમ કોર્ટે જ ગાઈડલાઈન જારી કરી છે. સમગ્ર દેશના બાર કાઉન્સિલ માટે તેની જાહેરાત કરી છે.
પંચમહાલ-ગોધરા LCBએ બે આરોપી ઝડપ્યા:પોપટપુરા પાસે નાકાબંધીમાં 5.46 લાખનો મુદ્દામાલ જપ્ત
પંચમહાલ-ગોધરા લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) પોપટપુરા તુપ્તી હોટલ ચોકડી પાસે નાકાબંધી દરમિયાન બે ઇસમોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી 840 બીયર ટીન, એક આઈ-20 કાર, મોબાઇલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 5,46,910 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારીની સૂચના અને પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. LCB ગોધરાના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એલ. દેસાઈએ સ્ટાફને પ્રોહીબીશનની હેરાફેરી કરતા ઇસમો પર વોચ રાખી રેડ કરવા સૂચના આપી હતી. આ દરમિયાન એ.એસ.આઈ. નાદીરઅલી નિઝામુદીન અને આ.હે.કો. કેહજીભાઈ સૈયદુભાઈને બાતમી મળી હતી કે, સફેદ કલરની આઈ-20 કાર (નંબર જી.જે.20 એ.એચ.6271) વિદેશી દારૂનો જથ્થો ભરી સંતરોડ તરફથી વડોદરા તરફ જવાની છે. આ ચોક્કસ બાતમીના આધારે પો.સ.ઈ. એસ.આર. શર્મા અને LCB સ્ટાફના માણસોએ પોપટપુરા તુપ્તી હોટલ પાસે ચોકડી પર નાકાબંધી કરી હતી. નાકાબંધી દરમિયાન વાહન ચાલકે ગાડી ઊભી રાખી ન હતી અને પૂર ઝડપે તથા ગફલતભરી રીતે વાહન હંકારી રાહદારીઓનું જીવન જોખમમાં મૂક્યું હતું. પોલીસે પીછો કરતા પેટ્રોલ પંપની પાસે થઈ થોડે આગળ વણાંકપુર સીમમાં વાહન ચાલકે રોડથી અવાવરુ જગ્યામાં કાર ઉતારી નુકસાન કર્યું હતું. બંને ઇસમો ભાગવાનો પ્રયાસ કરતા તેમને પકડી પાડવામાં આવ્યા હતા. આઈ-20 કારની તપાસ કરતા તેમાંથી કિંગફિશર એક્સ્ટ્રા સ્ટ્રોંગ પ્રીમિયમ બીયરના 840 ટીન (કિંમત રૂ. 3,15,000/-), આઈ-20 કાર (કિંમત રૂ. 2,00,000/-), બે મોબાઈલ ફોન (કિંમત રૂ. 30,000/-) અને રોકડા રૂ. 1910/- મળી આવ્યા હતા. આમ, કુલ રૂ. 5,46,910/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીઓમાં અનિલ હેમચંદ માવી (રહે. વરમખેડા, મહાવડા ફળિયું, તા.જી. દાહોદ) અને હિતેશ રામસીંગ મછાર (રહે. નાગણખેડી, રતના ફળિયું, તા. રાણાપુર, જી. ઝાબુઆ, મધ્યપ્રદેશ) નો સમાવેશ થાય છે. આ ગુનામાં પ્રદીપસિંહ મહિડા (રહે. નડિયાદ) નામનો સહ-આરોપી ફરાર છે. ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરીમાં પો.સ.ઈ. એસ.આર. શર્મા, એ.એસ.આઈ. નાદીરઅલી નિઝામુદ્દીન સહિત LCB ગોધરાના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
આજે સુપરસ્ટાર સલમાન ખાનનો 60મો જન્મદિવસ છે. સુપરસ્ટારના જન્મ દિવસને લઈને તેમના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે તાજેતરમાં મુંબઈમાં એક કાર્યક્રમમાં સલમાન ખાનને મળી સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી ગર્લ અને સલમાન ખાનની સૌથી નાની ફેન અમાયરા શેખે આજે પોતાના આઈડલ એવા સલમાન ખાનના જન્મદિવસની પરિવાર સાથે વઉજવણી કરી હતી. 5 વર્ષની નાનકડી ફેને બીઇંગ હ્યુમન માટે પિગી બેંક બનાવીવડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતી અમાયરાએ તેના મિત્રો અને ફેમિલી સાથે કેક કાપી સુપરસ્ટારના જન્મદિવસની ઉજવણી કરી હતી. સલમાન દ્વારા કરવામાં આવતા માનવતાના કાર્યથી પ્રભાવિત સલમાનની આ 5 વર્ષની નાનકડી ફેને પોતાનો બીઇંગ હ્યુમનના નામથી એક અલગ પિગી બેંક (ગલ્લો) બનાવ્યો છે, જેમાં છેલ્લા એક વર્ષથી પોતાની પોકેટમની ભેગી કરે છે. અમાયરાની ઈચ્છા છે કે, તે સલમાન ખાનને મળી આ પિગી બેંક તેને બીઇંગ હ્યુમન માટે ભેટ આપશે, જેથી ગરીબોની મદદ કરી શકે. અમાયરાને સલમાન ખાન સાથે ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છાઅમાયરા આમ તો સલમાન ખાનની સૌથી મોટી ફેન છે. સલમાન ખાનની ફિલ્મના ડાયલોગ અને સોંગ તેને કંઠસ્થ છે અને તે આત્મવિશ્વાસ પૂર્વક બોલે છે. અમાયરાને ભવિષ્યમાં જો તક મળે તો સલમાન ખાન સાથે ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છા છે. સલમાનની આ ઉંમરમાં નાની પરતું સૌથી મોટી ફેન આજે ચર્ચાનો વિષય બની હતી.
ભુજમાં જૈન સમાજ માટે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ:29 ટીમોએ ભાગ લીધો, એકતા અને ખેલદિલીનો સંદેશ
ભારતીય જૈન સંગઠન (BJS) ભુજ ચેપ્ટર દ્વારા સમસ્ત જૈન સમાજ માટે શરદ બાગ પેલેસ ગ્રાઉન્ડમાં ચાર દિવસીય બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ BJS ભુજ ચેપ્ટરના પ્રમુખ ધીરેનભાઈ શાહના નેજા હેઠળ અને મહામંત્રી મનિષભાઈ નાગડાના માર્ગદર્શનમાં યોજાઈ હતી. બરસાના હોમ્સના જીગરભાઈ તારાચંદભાઈ છેડા આ ટુર્નામેન્ટના મુખ્ય દાતા રહ્યા હતા. આ ટુર્નામેન્ટમાં બાળકો, મહિલાઓ અને પુરૂષ એમ ત્રણ કેટેગરીમાં કુલ 29 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં બાળકોની 6, મહિલાઓની 7 અને પુરૂષોની 16 ટીમોનો સમાવેશ થતો હતો. આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ જૈન સમાજમાં એકતા, રમતગમત અને ખેલદિલીની ભાવનાને પ્રોત્સાહન આપવાનો હતો. સમાપન સમારોહમાં આમંત્રિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિજેતા ટીમોને ટ્રોફી અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા. ઉપસ્થિત મહાનુભાવોમાં કે.વી.ઓ. જૈન મહાજન તથા સર્વ સેવા સંઘના પ્રમુખ જીગરભાઈ તારાચંદભાઈ છેડા, બીજેએસ કચ્છના પ્રમુખ હિતેશભાઈ ખંડોર, મહામંત્રી નીરવભાઈ શાહ, તેમજ જૈન સાત સંઘના પ્રમુખ સ્મિતભાઈ ઝવેરી અને બીજેએસના વિવિધ ચેપ્ટર તથા ભુજ જૈન સંઘોના પદાધિકારીઓનો સમાવેશ થતો હતો. આ સમગ્ર આયોજનના મુખ્ય દાતા 'બરસાના હોમ્સ' ના જિગરભાઈ તારાચંદભાઈ છેડા રહ્યા હતા. આ ઉપરાંત, કેપિટલ કેન્વાસ, હિતેશભાઈ ખંડોર, નીરવભાઈ શાહ, દીપક ચા, મિત્સુ કલેક્શન, સુરભી યુનિફોર્મ્સ, ભારત સ્ટેશનર્સ, મધુ ઓપ્ટિક્સ, સાગર વોચ અને પરમેશ્વરી મોબાઈલનો પણ વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે BJS ભુજ ચેપ્ટરના પ્રમુખ ધીરેનભાઈ શાહ અને મંત્રી મનીષભાઈ નાગડાના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ ચેરમેન નંદિત મહેતા, વિરાજ ગાંધી, ભવ્ય દોશી, જેકિલ મહેતા અને જેનીલ દોશીએ જહેમત ઉઠાવી હતી. ઇનામ વિતરણ કાર્યક્રમનું સંચાલન ઉપપ્રમુખ અમર મહેતાએ કર્યું હતું. સમગ્ર ટુર્નામેન્ટનું ગ્રાઉન્ડ મેનેજમેન્ટ BJS ભુજ સ્પોર્ટ્સ કમિટીના સભ્યો રાજુભાઈ શાહ, સ્નેહલ ઝવેરી, પ્રેમ ઝવેરી, મેહુલ દેસાઈ, ભાવિન દેઢિયા, આદર્શ સંઘવી, નીલ શાહ, અમર મહેતા, પારસ દલાલ, હિતેશ પારેખ અને સમીર દોશી દ્વારા સુદ્રઢ રીતે કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં એસોસિયેટ પ્રોફેસર અથવા પ્રોફેસરની ભરતીમાં ઉમેદવારનો અધ્યાપક સહાયક તરીકેનો અનુભવ માન્ય ગણવો કે કેમ તે મુદ્દે મતમતાંતર પ્રવર્તી રહ્યા છે ત્યારે આ મામલે રાજ્ય સરકાર સ્પષ્ટતા કરે તેવી માગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાએ ઉચ્ચ શિક્ષણ કમિશનરને રજૂઆત કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય એવા ડો.બારોટે માંગણી કરી છે કે, અધ્યાપક સહાયકનો અનુભવ એસોસિયેટ પ્રોફેસર અને પ્રોફેસરની ભરતીમાં ગણવામાં આવે તેવી સ્પષ્ટતા કરવામાં આવે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.નિદત બારોટે રાજ્યના ઉચ્ચ શિક્ષણ કમિશ્નરને કરેલી રજૂઆતમાં જણાવ્યુ હતુ કે, હાલમાં ગુજરાત સરકારના તાબા હેઠળ રહેલી પબ્લિક યુનિવર્સિટીઝમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એકટ 2023 ગુજરાત કોમન યુનિવર્સિટી સ્ટેચ્યુટ - 2024 અમલમાં છે. ગુજરાતની બધી યુનિવર્સિટીઓને તેમની યુનિવર્સિટીના જુદા જુદા ભવનોમાં આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર અને પ્રોફેસરની ભરતી માટે યુજીસી રેગ્યુલેશન સમાન રીતે લાગુ પડે છે. આ સંજોગોમાં ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં ભરતી વખતે આવેલ અરજીઓ પૈકી અધ્યાપકોનો અનુભવ કયો માન્ય રાખવો તે સંદર્ભે મત મતાંતર પ્રવર્તી રહ્યા છે. રાજ્ય સરકારની સમાન નીતિ બધી જ યુનિવર્સિટીઓમાં છે. જેથી આપના તરફથી ચોક્કસ માર્ગદર્શિકાઓની આવશ્યકતા છે. ફિક્સ પગારમાં અધ્યાપક સહાયક તરીકે જે અધ્યાપકોએ કામ કર્યું છે અને હવે યુનિવર્સિટીઓમાં એસોસિયેટ પ્રોફેસર અથવા પ્રોફેસર માટે અરજી કરે ત્યારે તેમણે અધ્યાપક સહાયક તરીકે કરેલા કામનો અનુભવ ધ્યાનમાં લેવાનો છે. ગુજરાત સરકાર દ્વારા તારીખ 16/02/2024 થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને અગાઉ આ બાબતની જાણ કરેલી છે. આમ છતાં આ બાબતનો યોગ્ય પ્રતિભાવ નવી ભરતીમાં મળી રહ્યો નથી. જ્યારે જુદી જુદી યુનિવર્સિટીઓમાં આ બાબતની જાણ ન હોય તેવું પણ બને. જેથી તા. 23/02/2024 ના રોજ ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી દ્વારા આઉટવર્ડ નંબર 545 થી જે પત્ર કરવામાં આવ્યો છે તે બાબતની જરૂરી સ્પષ્ટતા કરતી વિગત ગુજરાતની બધી જ યુનિવર્સિટીઓને મોકલી આપવાની જરૂરિયાત છે. EWS કેટેગરીમાં ઉમેદવારે જ્યારે અરજી કરવાની હોય ત્યારે તેની આવક મર્યાદાની જોગવાઈ કરવામાં આવી છે. જે કોઈ અધ્યાપક 8 અથવા 10 વર્ષ સુધી પૂરા પગારમાં કામ કરતો હોય તો તે અનુભવને અંતે હાલમાં તેનું પગાર ધોરણ EWS ની આવક મર્યાદાથી ઉપર જતું રહેતું હોવાથી, એસોસિયેટ પ્રોફેસર અને પ્રોફેસરની ભરતીમાં કોઈ ઉમેદવાર મળે નહીં તેવી રજૂઆત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાજ્ય સરકારને કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, આ સંજોગોમાં અમારે એસોસિયેટ પ્રોફેસર અને પ્રોફેસરની ભરતીમાં EWS લાગુ કરવું જોઈએ કે નહીં? આ વાતની સ્પષ્ટતા કરતા રાજ્ય સરકાર દ્વારા તા. 06/11/2025 ના રોજ બીડાણમાં જોડેલ પત્રથી સ્પષ્ટતા કરી છે કે અલગ અલગ ઉચ્ચ શિક્ષણની શૈક્ષણિક સંસ્થાઓમાં ફિક્સ પગારમાં નોકરી કરેલ હોય તો તેમને આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેનો જરૂરી અનુભવ હશે. આ સાથે જ તેમનો પગાર જો ફિક્સ પગારમાં કામ કર્યું હોય તો EWS ની મર્યાદાથી નીચે હોવાની પૂરી સંભાવના છે. જે ધ્યાને લઈને એસોસિયેટ પ્રોફેસર અને પ્રોફેસરની EWS કેટેગરીમાં ભરતી કરી શકાય. આ પત્રથી સ્પષ્ટ થાય છે કે ફિક્સ પગારમાં કામ કર્યું હોય અને રાજ્ય સરકારની કોલેજ અથવા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં હોય તો તેમનો અનુભવ ધ્યાને લઈને તેમને એસોસિયેટ પ્રોફેસર અથવા પ્રોફેસર બનાવી શકાય. આ બાબતની પણ યોગ્ય સ્પષ્ટતા થવી જરૂરી છે. તેમણે જણાવ્યુ હતુ કે, આપના તરફથી નીચે મુજબની બે સ્પષ્ટતા આવશ્યક છે.(1) અધ્યાપક સહાયકનો અનુભવ એસોસિયેટ પ્રોફેસર અને પ્રોફેસરની ભરતીમાં ગણવામાં આવશે.(2) એસોસિયેટ પ્રોફેસર અને પ્રોફેસરની ભરતી વખતે જો કોઈ ઉમેદવાર સરકારી પ્રાઇવેટ કોલેજમાં ફિકસપગારમાં કામ કરીને આવતા હોય તો અને તેમની આવક મર્યાદા જો EWS ની જોગવાઈથી નીચે હોય તો તેમા અને જ્યાં આવક મર્યાદાની જરૂર ન હોય તો આ પ્રકારના ઉમેદવારના અનુભવ ધ્યાને લઈને તેમની ભરતી કરી શકાય. આ સંજોગોમાં પ્રાઇવેટ કોલેજોમાં યુનિવર્સિટીની મંજૂરીથી અધ્યાપક થયા હોય અને તેમને પૂરા ગ્રેડને બદલે ફિક્સ પગાર મળ્યો હોય તો તેમનો અનુભવ ધ્યાને લેવાનો રહે છે. આવી સ્પષ્ટ માહિતી જે તે યુનિવર્સિટીના કુલપતિઓને મળે તો ગુજરાતની અંદર અસંખ્ય અધ્યાપક સહાયકોને આનો લાભ મળવાનો છે. તદુપરાંત પ્રાઇવેટ કોલેજમાં વર્ષોથી કામ કરતા અધ્યાપકોને પણ નવી જગ્યાએ જવાની તક મળવાની છે. રાજ્ય સરકારનો અભિગમ અધ્યાપકો અને વિદ્યાર્થીઓલક્ષી હોય ત્યારે આ સ્પષ્ટતા આપના તરફથી કરવામાં આવે તેવી અપેક્ષા છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં મોડી સાંજે ડ્રેનેજના ચેમ્બરમાં એક યુવાન પડી જતાં મોતને ભેટ્યો હતો. આ ઘટનાથી ગભરાયેલા ઇજારદારે નવાયાર્ડ વિસ્તારમાં આવેલ સરસ્વતી નગરમા ડ્રેનેજની કામગીરી માટે ખોદાવેલા ખાડા તાત્કાલિક પૂરાવી દીધા હતા. આ કામગીરી છેલ્લા 20 દિવસથી ચાલી રહી હતી. પરંતુ, સુપર શકર મશીન ન મળવાના કારણે કામગીરી અટવાઇ પડી હતી. આ અંગે સ્થાનિક કોંગ્રેસ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, નવાયાર્ડ સરસ્વતી નગરમા અમારા સાથી કાઉન્સિલરો હરીશ પટેલ સહિતના કાઉન્સિલરોએ સરસ્વતી નગરમા ડ્રેનેજ અને પાણીની સમસ્યા હોવાથી આ અંગેની કામગીરી શરૂ કરાવી હતી. ડ્રેનેજ લાઇન માટે સરસ્વતી નગરમા ખાડા ખોદ્યા હતાઇજારદાર દ્વારા ડ્રેનેજ લાઇનની કામગીરી શરૂ કરી દેવામાં આવી અને લાઇન નાખવા માટે સરસ્વતી નગરમા ખાડા ખોદ્યા હતા. આ ખાડાઓમાં લાઇન નાખવા માટે ડ્રેનેજની મેઇન લાઇન સુપર શકર મશીનથી સાફ કરવાની હતી. પરંતુ, ઉત્તર ઝોનમાં મશીનનો ઇજારો ન હોવાથી કામગીરી અટવાઇ હતી. 20 દિવસથી ખાડા ખોદી રાખ્યા હોવાથી સ્થાનિક લોકો ત્રાહિમામ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ વધુમાં જણાવ્યું કે, સરસ્વતી નગરમા લોકોના ઘર આગળ છેલ્લા 20 દિવસથી ખાડા ખોદી રાખ્યા હોવાથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઇ ગયું હતું. તાજેતરમાં એક મકાનમાં આગ લાગી હતી તે સમયે ફાયર બ્રિગેડને આગ બુઝાવવા ભારે મુશ્કેલી પડી હતી. સરસ્વતી નગરમા ડ્રેનેજની કામગીરી માટે ખોદેલા ખાડા પૂરાયાતેમણે જણાવ્યું કે, આ કામગીરી પૂર્ણ ન થતાં મે શનિવારે ધરણાં ઉપર બેસવાની ચિમકી આપી હતી. જોકે, મોડી સાંજે માંજલપુરમાં યુવાન ખૂલ્લી ડ્રેનેજમાં પડી જતાં મોતને ભેટતા ઇજારદાર દ્વારા સરસ્વતી નગરમા ડ્રેનેજની કામગીરી માટે ખોદેલા ખાડા તાત્કાલિક પૂરાવી દીધા હતા. આ અંગેની જાણ અમોને થતાં અમો કાઉન્સિલરો સ્થળ ઉપર દોડી આવ્યા હતા. જોકે, આજે સુપર શકર મશીન આવી ગયા બાદ ડ્રેનેજ ચેમ્બર સાફ કરી તબક્કાવાર ડ્રેનેજ લાઇન નાખવામાં આવશે, તેમ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ ઉમેર્યું હતું.
ગોધરાના ગેની પ્લોટ વિસ્તારમાં એક બળદની ક્રૂરતાપૂર્વક કતલ કરવાનો પ્રયાસ નિષ્ફળ બન્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક આરોપી ફરાર થવામાં સફળ રહ્યો હતો. આ મામલે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. બનાવ ગોધરા શહેરના ગેની પ્લોટ, ઉમર મસ્જિદ પાસે બન્યો હતો. આરોપીઓ એક સફેદ કલરના બળદને સ્વીફ્ટ ગાડી (રજી.નં. GJ-01-HR-0317) માં ટૂંકા દોરડાઓ વડે ખીચોખીચ બાંધી, મરણતોલ હાલતમાં લાવ્યા હતા. ત્યારબાદ તેઓ બળદને ગાડીમાંથી ઉતારી કતલ કરવાના ઇરાદે એક મકાનમાં બાંધી રહ્યા હતા. પોલીસ કોન્સ્ટેબલ ગણપતસિંહ ભીમસિંહની ફરિયાદના આધારે, ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે. આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-2011 (2017 સુધારા સાથે) ની કલમ 6(એ), 8(4), 10 તથા પ્રાણી ક્રૂરતા અધિનિયમ 1960 ની કલમ 11(1)(ડી)(ઈ)(એફ) અને જી.પી. એક્ટ કલમ 119 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં મહેફુઝ ઉર્ફે મુન્નો હુસેન બદામ (રહે. ગેની પ્લોટ, ઉમર મસ્જિદ પાસે, ગોધરા) અને ઇર્શાદ યુસુફ મીઠા (રહે. મીઠીખાન મહોલ્લા, દારૂ સલામ મસ્જિદની બાજુમાં, ગોધરા) ને આરોપી બનાવવામાં આવ્યા છે. પોલીસે ઇર્શાદ યુસુફ મીઠાની ધરપકડ કરી છે, જ્યારે મહેફુઝ ઉર્ફે મુન્નો હુસેન બદામ પોલીસ રેડ દરમિયાન નાસી છૂટ્યો હતો. તેને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે. પોલીસે ઘટનાસ્થળેથી 25,000 રૂપિયાની કિંમતનો એક બળદ, 1,000 રૂપિયાનો ઇલેક્ટ્રોનિક વજનકાંટો, 20 રૂપિયાની છરી, 5,000 રૂપિયાનો મોબાઇલ ફોન, દોરડું, 1,00,000 રૂપિયાની સ્વીફ્ટ ગાડી અને 25,000 રૂપિયાનું મોટરસાયકલ સહિત કુલ 1,56,020 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસની વધુ તપાસ પો.સ.ઇ. એસ.એસ. મહામુનકર કરી રહ્યા છે.
ગોધરામાં ભારતનું પ્રથમ સાર્વજનિક આલ્કલાઈન વોટર એટીએમ શરૂ કરવામાં આવ્યું છે. 27 ડિસેમ્બર, 2025ના રોજ ગોધરાના અટલ ઉદ્યાન ખાતે ધારાસભ્ય સી.કે. રાઉલજીના હસ્તે આ પ્રોજેક્ટનું લોકાર્પણ થયું હતું. આ પહેલ ગોધરા નગરપાલિકા અને નાસિક સ્થિત પ્રથમેશ એન્ટરપ્રાઈઝના સહયોગથી શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને ઓછી કિંમતે શુદ્ધ અને આરોગ્યપ્રદ પીવાનું પાણી પૂરું પાડવાનો છે. પ્રથમેશ એન્ટરપ્રાઈઝના સીઈઓ હરીશ જૈને જણાવ્યું હતું કે, ગોધરામાં કુલ 6 આલ્કલાઈન વોટર એટીએમ સ્થાપિત કરવામાં આવશે, જ્યારે બે મોબાઈલ એટીએમ વાહનો પણ કાર્યરત રહેશે, જેથી લોકોને ઘરઆંગણે શુદ્ધ પાણી મળી શકે. આ પાણી અનેક રોગો સામે રક્ષણ આપવા માટે લાભદાયી માનવામાં આવે છે. કંપની અને નગરપાલિકા દ્વારા પાણીના ભાવ વાજબી રાખવામાં આવ્યા છે. નાગરિકોને 1 રૂપિયામાં 500 મિલી અને 25 રૂપિયામાં 20 લીટર પાણી મળશે. લોકો પોતાના ઘરેથી બોટલ લાવીને પાણી ભરી શકશે, જેનાથી સ્વચ્છતા પણ જળવાઈ રહેશે. ધારાસભ્ય સી.કે. રાઉલજીએ આ પ્રોજેક્ટને આવકારતા જણાવ્યું હતું કે, શુદ્ધ આલ્કલાઈન પાણી પીવાથી રોગોથી મુક્તિ મળશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતભરમાં પ્રથમ વખત ગોધરાથી આ પહેલની શરૂઆત થઈ છે. તેમણે ગોધરાની જનતાને આ પ્રોજેક્ટનો લાભ લેવા અપીલ કરી હતી અને પોતે પાણીનો ટેસ્ટ કર્યો હોવાનું જણાવી ગુણવત્તાની ખાતરી આપી હતી. આ પ્રસંગે ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસર આર.એચ. પટેલ, પ્રમુખ જયેશ ચૌહાણ, ઉપપ્રમુખ સુનિલ લાલવાણી સહિત નગરપાલિકાના સભ્યો હાજર રહ્યા હતા.
દેખાદેખીમાં નહીં, વૈજ્ઞાનિક રીતે ખેતી કરો તથાખેડૂતોની ખુશાલી અને જમીન બચાવવા ખાતર-પેસ્ટિસાઈડ્સનો 'સપ્રમાણ' ઉપયોગ જરૂરી- જીતુભાઈ વાઘાણીભાવનગર જિલ્લા સીડ્સ એન્ડ પેસ્ટીસાઈડ્સ એસોસિએશન દ્વારા આજરોજ એક ભવ્ય સ્નેહ મિલન અને સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે, આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કૃષિ કેબિનેટ મંત્રી તરીકે નિયુક્ત થયેલા ભાવનગર (પશ્ચિમ)ના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, આજે ભાવનગરમાં જીતુભાઈ વાઘાણી આમ તો લાંબા સમયથી એમના કોલેજ કાળથી એ નેતૃત્વ કરી રહ્યા છે અને સરકારની અંદર આ વખતમાં એમને કૃષિમંત્રી તરીકેની એક જવાબદારી સોંપેલી છે, અને એમનો એક ભવ્ય સત્કાર સમારોહ ભાવનગર જિલ્લા એસોસિએશન અમારું સીડ્સ એન્ડ પેસ્ટીસાઇડ્સનું એસોસિએશન છે, એણે ભાવનગર ખાતે આજે રાખ્યો છે. જેની અંદર 1,000 થી પણ વધારે અમારા સભ્યો, જે એગ્રોની દુકાન ધરાવે છે એ મિત્રો આમાં સામેલ થયા છે. કૃષિમંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે,નરેન્દ્ર મોદી જે પ્રકારે કૃષિ ક્રાંતિ લાવવા માટે થઈને કામ કરી રહ્યા છે, એના કારણે ખેડૂતોનું જીવન બદલાઈ રહ્યું છે, વેલ્યુ એડિશનથી માંડીને આપણી જે ભૂમિ માતા છે, એમાં સપ્રમાણ ખાતર અને બીયારણ, કયા સમયે કેવા પ્રકારનું અને પેસ્ટિસાઈડ્સ કેટલા પ્રમાણમાં વાપરવું એની ગાઈડલાઈનો તો છે જ, પણ મને આનંદ છે કે વિક્રેતાઓએ પણ એનો સંકલ્પ કર્યો છે, એમના થકી જ સૌનો વ્યવસાય અને રોજગારી છે ત્યારે ખેડૂતની ખુશાલી વધે, ખેડૂતનું ઉત્પાદન વધે અને ખેડૂત ક્વોલિટી ઉત્પાદન કરે એ મહત્વનું છે એમના થકી જ જમીન બચે એના માટે સપ્રમાણ ઉપયોગ પણ થાય એના માટેની ચર્ચાઓ અને સંકલ્પો અમે અહીંથી તમામ લોકોએ કર્યા છે, વધુમાં જણાવ્યું હતું કે, હું પણ ખેડૂત મિત્રોને વિનંતી કરું છું કે બાજુમાં કોઈ વધારે વાપરતું હોય એટલે આપણે પણ વાપરીએ એવું ન હોવું જોઈએ, સારી ફૂટ આવે, સારી કોળ હોય, સારું પાંદડું હોય અને સારું ઝીંડવું આવે અથવા અન્ય ફળ-ફળાદિ કે શાકભાજી હોય, એ જોવામાં તો સારા હોઈ શકે છે પણ આપણી જમીનના પોષક તત્વોને ભાવે એ પ્રકારે ખાતર, બીયારણ અને પેસ્ટિસાઈડ્સનો સપ્રમાણ ઉપયોગ થવો જોઈએ. આ શબ્દ 'સપ્રમાણ' નરેન્દ્રએ આપ્યો છે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં પણ રાજ્યનો અમારો કૃષિ વિભાગ આ પ્રકારે કામ કરી રહ્યો છે, આ જાગૃતિનું કામ આપના માધ્યમથી હું વિનંતી કરું છું કે સપ્રમાણ વાપરવાથી આપણું શરીર, આપણી વ્યવસ્થાઓ અને સપ્રમાણ ખાવાથી પણ આપણી તંદુરસ્તી જળવાઈ રહે છે, આ એક વૈજ્ઞાનિક અને કુદરતી સિદ્ધાંત છે જે બધાને લાગુ પડે છે, છોડ પણ સજીવ છે, એ પણ જીવ છે. એ બધાને ધ્યાનમાં રાખીને આપણી સમૃદ્ધિને વધારે સારી દિશામાં લઈ જવા માટે અમિતભાઈએ જે સહકારિતા મંત્રાલય હાથમાં લીધું છે, ત્યારે કૃષિ, પશુપાલન અને સહકારિતાથી એક અલગ પ્રકારની સમૃદ્ધિ દેશમાં આવવા જઈ રહી છે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સ્વદેશીનો પણ ઉપયોગ કરીને આત્મનિર્ભર ભારત માટે અમારા જે ડીલરો છે એ બ્રાન્ડ એમ્બેસેડર બની રહ્યા છે મને આનંદ છે કે જે લેભાગુ તત્વો ખેડૂતોને નુકસાન પહોંચાડી રહ્યા છે એમની સામે પણ પગલાં લેવા માટે સરકારે ધ્યાન દોર્યું છે, આ અંગે આયવા ઉપપ્રમુખ યશવંત પટેલ જણાવ્યું હતું કે, આખા ભાવનગર જિલ્લાની અંદરથી દરેક એગ્રોની દુકાનો આજે સ્વયંભૂ રીતે બધી બંધ રાખીને આ કાર્યક્રમમાં જોડાયા છે. આજુબાજુના જે જિલ્લાઓ છે બોટાદ, અમરેલી એ જિલ્લાઓમાંથી એમના આગેવાનો, પ્રમુખ, મંત્રી, તાલુકા કક્ષાની અને જિલ્લા કક્ષાની જે ટીમોમાં છે એ પણ જોડાયા છે અને રાજ્યની અંદરથી પણ રાજ્યના હોદ્દેદારો જે છે એ બનાસકાંઠાથી માંડીને સુરત સુધીના દરેક મિત્રો જે રાજ્યના હોદ્દેદારો છે એ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા, આ પ્રસંગે મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, ભાવનગર જીલ્લા સીડ્સ એન્ડ પેસ્ટીસાઈડ એસોસીએશનના બીપીનભાઈ સવાણી, અરવિંદભાઈ ટીંબડીયા જનરલ સેક્રેટરી આઈવા, યશવંતભાઈ પટેલ ઉપપ્રમુખ આઈવા, ધર્મેશભાઈ પટેલ જનરલ સેક્રેટરી આઈવા, વિક્રમસિંહ ગોહિલ ઉપપ્રમુખ ભાવનગર જીલ્લા સીડ્સ એન્ડ પેસ્ટીસાઈડ એસોસિએશન તથા જીલુભાઇ ભૂકણ ઉપપ્રમુખ ભાવનગર જીલ્લા સીડ્સ એન્ડ પેસ્ટીસાઈડ એસોસિએશનના હોદ્દેદાર સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ડાયમંડ સિટી સુરતમાં નબીરાઓ દ્વારા જાહેર માર્ગો પર સ્ટંટ કરીને લોકોના જીવ જોખમમાં મૂકવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. શહેરના પોશ વિસ્તાર ગણાતા વેસુ-અલથાન રોડ પર આવેલી ભગવાન મહાવીર યુનિવર્સિટી સામે એક બ્લુ કલરની લક્ઝુરિયસ મર્સિડીઝ કાર સાથે જોખમી ડ્રિફ્ટિંગ અને ઓવરસ્પીડિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. અલથાણ પોલીસે વાઇરલ વીડિયો આધારે ફર્નિચર વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિના પુત્ર અને કારચાલક જય દાવરાની અટકાયત કરી છે. આ ઘટનામાં પોલીસે આરોપીની મર્સિડીઝ કાર પણ જપ્ત કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. નબીરાએ ફૂલ સ્પીડમાં કાર હંકારી રોડ પર સીનસપાટા કર્યા હતા અને તેનો વીડિયો પણ મિત્ર પાસે બનાવડાવી સોશિયલ મીડિયામાં મુક્યો હતો. કારના સાઈલેન્સરના અવાજ અને રોડ પર ડ્રિફ્ટ મારી આસપાસના લોકોની શાંતિ ભંગ કરી ખતરનાક સ્ટંટ કર્યા હતા. કારને 360 ડિગ્રીમાં ચાર વાર ગોળ ફેરવી ભયાનક સ્ટંટ કર્યાવાઇરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, રાત્રિના સમયે એક નબીરો પોતાની બ્લુ રંગની મર્સિડીઝ કાર લઈને રસ્તા પર નીકળ્યો હતો. તેણે જાહેર માર્ગને પોતાની અંગત માલિકીની જાગીર સમજીને કારને ફૂલ સ્પીડમાં હંકારી હતી. એટલું જ નહીં, મહાવીર યુનિવર્સિટીની બરાબર સામે જ તેણે કારને 360 ડિગ્રીમાં લગભગ ચાર વાર ગોળ-ગોળ ફેરવી (ડ્રિફ્ટિંગ) ભયાનક સ્ટંટ કર્યા હતા. આ દરમિયાન ટાયર ઘસાવાનો અવાજ અને કારની ગતિ એટલી તીવ્ર હતી કે જો કોઈ અન્ય વાહનચાલક ત્યાં હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ થયા બાદ લોકોમાં રોષલાખો રૂપિયાની ગાડીઓ લઈને મોડી રાત્રે રસ્તા પર નીકળતા આવા નબીરાઓ સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેણાંક વિસ્તારમાં ફૂલ સ્પીડમાં કાર હંકારીને સાયલેન્સરના અવાજો અને ટાયર ઘસી યુવાનોએ શાંતિ ભંગ કરી હતી. સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ થયા બાદ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, શું આ નબીરાઓને પોલીસનો કોઈ ડર જ નથી રહ્યો?. જોખમી રીલ બનાવવા મામલે આરોપીની અટકાયતઅલથાણ પોલીસે ફર્નિચર વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિના પુત્ર અને કારચાલક જય દાવરાની અટકાયત કરી છે. રાત્રે બેથી ચાર વાગ્યાના અરસામાં જાહેર માર્ગ પર જોખમી રીતે રીલ બનાવવા મામલે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટનામાં પોલીસે આરોપીની મર્સિડીઝ કાર પણ જપ્ત કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
અમદાવાદીઓએ અલગ-અલગ કલ્ચરને હંમેશા આવકાર આપ્યો છે. તેમાં પણ ફૂડની વાત આવે તો અમદાવાદીઓ ક્યારેય પણ પાછા પડતા નથી. નવા સ્વાદની વાત આવે અને અમદાવાદીઓમાં તેને ટેસ્ટ કરવાની થનગનાટ ના થાય એવું બને જ નહીં. સાઉથ ઈન્ડિયન અને ચાઈનીઝથી માંડી અમેરિકી, મેક્સિકન ફૂડને પણ હવે તો લોકો પસંદ કરી રહ્યા છે. રોજબરોજના જીવનમાં ઇન ઓર્ગેનિક પદાર્થો અને અને ફાસ્ટ ફૂડ ખાવા સહજ રીતે ટેવાઈ ગયા છીએ. જેના કારણે સાત્વિક વાનગીઓ ભુલાઈ રહી છે. જેના કારણે ભાગવત વિદ્યાપીઠ પરિષદમાં વિસરાતી વાનગીઓનો મહોત્સવ યોજવામાં આવ્યો છે. આ સાત્વિક મહોત્સવ આપણને વિસરતા ખાદ્ય વારસાની પુનઃ યાદ અપાવે છે. મહોત્સવમાં ગરમ વાનગીના કુલ 70 સ્ટોલ અમદાવાદમાં ખાવાના શોખીનો માટે ફાસ્ટ ફૂડનો નહીં પરંતુ વિસરાતી વાનગીઓનો મહોત્સવ યોજાયો છે. સોલામાં આવેલી ભાગવત વિદ્યાપીઠ પરિસરમાં વિસરાતી વાનગીઓનું મહોત્સવ યોજાયો છે. જે આજથી લઈને આગામી 31 ડિસેમ્બર સુધી ચાલવાનો છે. જેમાં આ વર્ષે ફેસ્ટિવલમાં વાનગીઓના મહોત્સવમાં ગરમ વાનગીના કુલ 70 સ્ટોલ છે, જેમાં 450 કરતા વધારે વિસરાતી વાનગીઓ બનાવવામાં આવી છે. આ મહોત્સવનો ઉદ્દેશ વિસરાતા જતા અપ્રચલિત અનાજ અને વિસરાતી જતી આપણી પારંપરિક વાનગીઓને પ્રચલિત કરવાનો છે. આ ફેસ્ટિવલમાં કોઈ મોટા કેટરર્સ કે વ્યવસાયિક હોટલવાળાને સ્ટોલ આપવામાં આવ્યા નથી, પરંતુ ગૃહિણીઓ અને ગામડાના ખેડૂતો, SHGને સ્ટોલ આપવામાં આવ્યા છે. સંપૂર્ણ સાત્વિક પદાર્થો વડે તૈયાર કરાય છે વાનગીઓ ગામડાના ગરીબ લોકોના સમૃદ્ધ આહાર વારસાને વાચા આપવા છેલ્લા ઘણા વર્ષોથી આ મહોત્સવ યોજાય છે. શહેરના લોકો પાસે પૈસા ભલે હોય, પરંતુ તેમાં આહારની વિવિધતા નથી. જ્યારે ગામડાના લોકો પાસે પૈસા નથી પરંતુ તેમનો ખોરાક સમૃદ્ધ છે. આહાર વિવિધતા, જૈવ વિવિધતાની ઉજવણીનો મહોત્સવ છે. અહીં ગરમ વાનગીઓના સ્ટોલમાં મેદો, ચીઝ, પનીર, સોડા, કોઈપણ પ્રકારના ફૂડ પ્રિઝર્વેટીવ, માયોનીઝ વગેરેનો ઉપયોગ કરવામાં આવતો નથી. સંપૂર્ણ સાત્વિક પદાર્થો વડે વાનગીઓ બને તે માટે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 90 વેરિફાઈડ ખેડૂતો પોતાની ઓર્ગેનિક ખેત પેદાશો વેચવા માટે આવ્યા સૃષ્ટિ ઇનોવેશન દ્વારા કોઈપણ પ્રકારની સરકારની મદદ વગર લોક ભાગીદારીથી આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં 90 વેરિફાઈડ ખેડૂતો પોતાની ઓર્ગેનિક ખેત પેદાશો વેચવા માટે આવ્યા છે. જેમાં ઓર્ગેનિક સિંગતેલ, કચરિયું, આમળા, મિલેટ, કઠોળ, મસાલા, વન્ય પેદાશો સહિત 150થી વધારે ઉત્પાદનો ખેડુતો દ્વારા વેચાણ કરવા માટે સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા છે. સૃષ્ટિ સંસ્થાના સંયોજક રમેશ પટેલે જણાવ્યું હતું કે, 70 સ્ટોલમાં 450 કરતા વધારે વાનગીઓ બનાવવામાં આવી છે. ઓર્ગેનિક ખેડૂતો ખેતી કરે ત્યારે તેમાં કોઈ મિલાવટ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે. તેમજ ઘણા ખેડૂતો પોતાની ઓર્ગેનિક વસ્તુઓ વેચવા માટે અહીંયા આવ્યા છે. જેથી શહેરના લોકો જે વસ્તુ ખરીદી કરે તેનો રૂપિયો ગામડા સુધી જાય એવો પ્રયાસ કરીએ છીએ. બે સમુદાયને જોડવા માટેનું આ એક પ્લેટફોર્મ છેશહેરમાં મોટેભાગે લોકો ઘઉં, ચોખા ખાતા હોય છે, જેથી ફૂડની વિવિધતા શહેરોમાં ઘટતી જાય છે. જ્યારે ગામડાઓમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુમાં અલગ અલગ વાનગીઓનો વારસો હતો. વિવિધતાવાળો જે ખોરાક છે તે શહેરોમાં લુપ્ત થઈ રહ્યો છે. શહેરના લોકો આ વાનગીઓ ખાય અને શહેરનો રૂપિયો ગામડામાં જાય અને સીધો ખેડૂતો સુધી પહોંચે તેવું આયોજન છે. શહેરના લોકો પાસે પૈસા છે પરંતુ તે ખોરાકમાં ગરીબ છે. જ્યારે ગામડાના લોકો પાસે પૈસો નથી પરંતુ ખોરાકમાં તે લોકો સમૃદ્ધ છે. જેથી બે સમુદાયને જોડવા માટેનું આ એક પ્લેટફોર્મ છે. અમદાવાદીઓએ જણાવ્યું હતું કે, જ્યારે પણ વિસરાતી વાનગીઓનો મહોત્સવ યોજાય છે ત્યારે અમે ચોક્કસથી આવીએ છીએ. આજની પેઢીઓએ ક્યારેય જોયું ન હોય તેવી વાનગીઓ અહીંયા જોવા મળે છે. બાળકો જાણકારી મેળવે તે આ સારો પ્રયાસ છે. ફાસ્ટ ફૂડ એવું વસ્તુ છે કે માણસ ઝેર ખાઈને મરે છે. આ વાનગીઓ ખાવા સિવાય પણ આ વસ્તુઓ શરીર માટે ખૂબ ફાયદાકારક છે. કારણ કે ફાસ્ટ ફૂડમાંથી ક્યારેય શરીરને કોઈ ફાયદો થવાનો નથી.
પોરબંદરના મિયાણી ચેકપોસ્ટ ખાતે 31 ડિસેમ્બરના રોજ પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન એક અકસ્માત સર્જાયો હતો, જેમાં બે વાહન બેરીકેટ સાથે અથડાયા હતા. પોલીસ દ્વારા તમામ વાહનોને રોકવામાં આવી રહ્યા હતા તે સમયે એક ફોર વ્હીલર વાહન અચાનક કાબૂ બહાર ગયું. પ્રાથમિક માહિતી અનુસાર, વાહનની બ્રેક ફેલ થતાં તે ચેકપોસ્ટ પર મૂકાયેલા બેરીકેટ સાથે અથડાયું હતું. આ અકસ્માત બાદ પાછળથી આવી રહેલું બીજું વાહન પણ અથડાયું હતું. ચેકપોસ્ટ પર વાહન રોકવામાં આવતા જ વાહનચાલકને બ્રેક ફેલ થયા હોવાની જાણ થઈ હતી. જોકે, સમગ્ર ઘટનાની સાચી હકીકત જાણવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
દસાડા તાલુકાની માનાવાડા પ્રાથમિક શાળામાં રૂ. 1.27 કરોડના ખર્ચે ત્રણ નવા ઓરડાના નિર્માણ માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. દસાડા-લખતરના ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. શાળાના હાલના ઓરડાઓ અત્યંત જર્જરિત બન્યા હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા વ્યાપી હતી. નવા ઓરડા બનવાથી વિદ્યાર્થીઓને સુરક્ષિત અને સુવિધાજનક વાતાવરણ મળશે. આ પ્રસંગે ધારાસભ્ય પી.કે. પરમાર ઉપરાંત પાટડી તાલુકા પંચાયત પ્રમુખ પંકજભાઈ પટેલ, પાટડી તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઠાકોર, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રામભાઈ ચાવડા, પાટડી તાલુકા ભાજપ મહામંત્રી લક્ષ્મણભાઈ વણોલ, પાટડી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ ડોડીયા, હસુભાઈ પાવરા, જિલ્લા સદસ્ય બબીબેન ઠાકોર, ચમનભાઈ સહિત ગામના સરપંચો અને આસપાસના ગામોના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ગુજરાત સરકારે ક્ષયરોગ (ટીબી) સામે નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. રાજ્યમાં છેલ્લા દસ વર્ષમાં નવા ટીબી કેસોમાં 34 ટકા ઘટાડો થયો છે, જ્યારે મૃત્યુદરમાં પણ 37 ટકાનો ઘટાડો નોંધાયો છે. 3 વર્ષમાં 3.82 લાખ દર્દી સંપૂર્ણ સ્વસ્થ થયાઆરોગ્ય વિભાગના આંકડાઓ મુજબ વર્ષ 2022થી 2024 દરમિયાન કુલ 4,30,046 લોકોમાં ટીબીનું નિદાન થયું, જેમાંથી 3,82,739 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થયા છે. આ સમયગાળામાં રાજ્યમાં ટીબીથી થતાં મૃત્યુમાં સતત ઘટાડો નોંધાયો છે. વર્ષ 2022માં રાજ્યમાં 1,49,856 ટીબી દર્દીઓ નોંધાયા હતા, જેમાંથી 1,24,992 દર્દીઓ સાજા થયા હતા. વર્ષ 2023માં 1,42,294 દર્દીઓ નોંધાયા અને 1,32,809 દર્દીઓ સ્વસ્થ થયા. જ્યારે વર્ષ 2024માં 1,37,896 દર્દીઓમાં ટીબી નિદાન થયું અને 1,24,938 દર્દીઓ સંપૂર્ણપણે સાજા થયા. 'સમાજની ભાગીદારીથી જ ટીબી સામેની લડત જીતી શકાય'રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ લોકભવન, ગાંધીનગર ખાતે ટીબી નિયંત્રણ કાર્યક્રમોની સમીક્ષા દરમિયાન જણાવ્યું કે, દરેક ટીબી દર્દી સુધી સમયસર યોગ્ય સારવાર અને પૂરતું પોષણ પહોંચે તે અનિવાર્ય છે. સમાજની ભાગીદારીથી જ ટીબી સામેની લડત જીતી શકાય. દર્દીને દર મહિને 1,000ની સહાય DBT દ્વારારાજ્યમાં 2,351 નિઃશુલ્ક માઇક્રોસ્કોપી સેન્ટર, 74 CBNAAT અને 326 TrueNat મશીનો દ્વારા ઝડપી નિદાનની સુવિધા ઉપલબ્ધ છે. તમામ આરોગ્ય કેન્દ્રોમાં ટીબીની સારવાર નિઃશુલ્ક છે, જ્યારે નિક્ષય પોષણ યોજના હેઠળ દર દર્દીને દર મહિને 1,000ની સહાય DBT દ્વારા આપવામાં આવે છે. સરકારના સુવ્યવસ્થિત પ્રોટોકોલ, ટેક્નોલોજી આધારિત દેખરેખ અને નિક્ષય મિત્ર જેવી પહેલોના કારણે ગુજરાત આજે અન્ય રાજ્યોની સરખામણીએ ટીબી નિયંત્રણમાં અગ્રેસર રાજ્ય બની રહ્યું છે.
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કીમ્બુવા ગામના એક યુવક સાથે પોલીસ વિભાગમાં નોકરી અપાવવાના બહાને 1.21 લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. સિદ્ધપુરના કોટ ગામના અજીતસિંહ ઠાકોર નામના શખ્સે પોતે પોલીસ અધિકારી હોવાની ખોટી ઓળખ આપી યુવક પાસેથી 112 હેલ્પલાઇન, TRB અને પોલીસ કોન્સ્ટેબલમાં નોકરી અપાવવાના બહાને કુલ 1,21,120 પડાવી લીધા હતા. આ મામલે સરસ્વતી પોલીસ મથકે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. ફરિયાદની વિગત મુજબ, કીમ્બુવા ગામના બળદેવભાઈ અમથાભાઈ ચમાર ગત 30 નવેમ્બરના રોજ પોતાના સાળા સાથે અમદાવાદથી પરત આવી રહ્યા હતા. તે સમયે અડાલજ ચોકડી પાસેથી અજીતસિંહ બળવંતસિંહ ઠાકોર નામનો શખ્સ તેમની ગાડીમાં પેસેન્જર તરીકે બેઠો હતો. મુસાફરી દરમિયાન અજીતસિંહે પોતાની ઓળખ એ.એસ.આઈ. તરીકે આપી અને તેની પત્ની પાટણમાં પી.આઈ. હોવાનું જણાવી બળદેવભાઈનો વિશ્વાસ કેળવ્યો હતો. તેણે બળદેવભાઈને 112 હેલ્પલાઇનમાં ડ્રાઈવર તરીકે નોકરી અપાવવાની લાલચ આપી પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો. નોકરીની જરૂરિયાત હોવાથી બળદેવભાઈએ તેનો સંપર્ક કરતા ઠગબાજે છેતરપિંડીનું કાવતરું રચવાનું શરૂ કર્યું. શરૂઆતમાં TRBમાં નોકરી માટે બૂટના નામે ₹1,120 ઓનલાઈન મગાવ્યા હતા. ત્યારબાદ ઠગબાજે ફરિયાદીને અમદાવાદ અને ગાંધીનગર બોલાવ્યા. ગાંધીનગરથી પી.આઈ. બોલતા હોવાનો ખોટો મેસેજ કરીને ફરિયાદીને વધુ વિશ્વાસમાં લીધા હતા. તેણે સુરત ખાતે નોકરી અપાવવાના બહાને ગાંધીનગરના વહીવટ માટે ₹20,000ની માંગણી કરી. ફરિયાદીને સુરત લઈ જઈ ત્યાં પોલીસ કમિશનર કચેરીની બહાર ઊભા રાખી, ઠગબાજ પોતે અંદર જઈ પરત આવ્યો હતો અને વર્દી તથા અન્ય ખર્ચના બહાને વધુ નાણાં પડાવ્યા હતા. ઠગબાજે ફરિયાદીને પોલીસ કીટ અને બૂટ પણ આપ્યા હતા જેથી તેને શંકા ન જાય. છેતરાયેલા યુવકે ટુકડે-ટુકડે રોકડ અને ઓનલાઈન માધ્યમથી કુલ ₹1,21,120 ચૂકવ્યા હતા. જોકે, જ્યારે ફરિયાદીએ જોઈનિંગ લેટરની માંગણી કરી ત્યારે ઠગબાજે વધુ ₹3 લાખ માંગ્યા. ફરિયાદીએ આટલા નાણાં ન હોવાનું કહેતા તેને ₹60,000 ઓનલાઈન ટ્રાન્સફર કરવા દબાણ કર્યું. નાણાં ચૂકવ્યા બાદ ફરિયાદીએ જ્યારે અજીતસિંહ પાસે તેનું આઈ-કાર્ડ માંગ્યું ત્યારે તેણે આનાકાની કરી અને યોગ્ય જવાબ આપ્યો ન હતો. આથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા બળદેવભાઈએ સરસ્વતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બી.એન.એસ.ની કલમ 318(2), 319(2) અને 204 હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
બોટાદમાં સ્વામિનારાયણ મંદિરે શતામૃત મહોત્સવ શરૂ:દાદા ખાચરની તિથિ પર વંશજો અને સંતોએ પૂજન કર્યું
બોટાદના શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં 175મો શતામૃત મહોત્સવ શરૂ થયો છે. આ મહોત્સવ અંતર્ગત દાદા બાપુ ખાચરની તિથિ નિમિત્તે તેમના વંશજો અને સંતો દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી સ્વામિનારાયણના સંકલ્પસિદ્ધ મહાપ્રતાપી ચરણારવિંદનો આ 'શતામૃત મહોત્સવ' બોટાદ ખાતે ભવ્યતાથી ઉજવાશે. આ મહોત્સવ પ.પૂ. ધ.ધુ. 1008 આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીના આશીર્વાદ અને પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજીની પ્રેરણાથી યોજાઈ રહ્યો છે. આ મહોત્સવ સંવત 2082 પોષ સુદ ૫ (તા. 25-12-2025) થી પોષ સુદ 12 (તા. 31-12-2025) સુધી ચાલશે. સંતો અને હરિભક્તોને આ દિવ્ય અવસરનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહા મુક્તરાજ દાદા ખાચરનું જીવન શ્રીજી મહારાજને સમર્પિત હતું. તેમના પ્રેમ, ભક્તિ અને સમર્પણને કારણે ભગવાન સ્વામિનારાયણ ગઢડાને પોતાનું ઘર માનીને આજીવન દાદા ખાચરના દરબારમાં બિરાજમાન થયા હતા. આ પ્રસંગને સંવત 2082 મહા સુદ-10 ના રોજ 201 વર્ષ પૂર્ણ થાય છે. આ પૂજન ગઢડામાં દાદા ખાચર વંશજ પરિવારના આઠમી પેઢીએ મહાવીરભાઈ ભાભલુભાઈ ખાચરના પુત્ર ધર્મદીપભાઈ ખાચર અને સંતોના હસ્તે કરવામાં આવ્યું હતું.
અમદાવાદ શહેરના વેપારીઓ છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી કાપડના વેપારીઓ સાથે અન્ય વેપારીઓ છેતરપિંડી આચરી રહ્યા છે. શાહીબાગમાં વેપારી સાથે 1.58 કરોડની, કુબેરનગરના વેપારી સાથે 91 લાખની અને નવરંગપુરા ના વેપારી સાથે 1.29 કરોડની અન્ય વેપારીઓ છેતરપિંડી આચરી છે. ફરિયાદી વેપારી પાસેથી માલ ખરીદ્યા બાદ ટુકડે ટુકડે રકમ આપી જે બાદ મોટું પેમેન્ટ આપ્યું નહીં. જ્યારે ફરિયાદીઓએ પેમેન્ટ માટેની માંગણી કરતા અન્ય વેપારીઓએ આપવાનો ઇનકાર કરી દીધો હતો. જેથી, ફરિયાદીઓએ આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી છે. શાહીબાગમાં 1.58 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવીશાહીબાગમાં રહેતા નીરવ કનોડિયાની 'કનોડિયા ડેનિમ' નામની ઓફિસ સારંગપુર વિસ્તારમાં આવેલી છે. નીરવ કનોડિયા બેનીમ ફેબ્રિકનો વેપાર કરે છે. નીરવ કનોડિયા પાસેથી નંદપ્રિયા ફેબ્રિક્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર સંજય પાંડે અને નિરૂપમા પાંડેએ વિશ્વાસ કેળવી જથ્થાબંધ ડેનિમ ફેબ્રિકનો માલ ખરીદ્યો હતો. 8.35 કરોડનો માલ ખરીદી 90 દિવસમાં પેમેન્ટ ચૂકવવાની ખાતરી આપી હતી. જે બાદ ટુકડે-ડુકડે 2019થી 2023 સુધીમાં 6.76 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા તેમછતાં 1.58 કરોડ રૂપિયા લેવાના બાકી હોવાથી નીરવ કનોડિયાએ ઉઘરાણી કરતા બાકીના રૂપિયા આપવાની મનાઈ ફરમાવી દીધી હતી. જે બાદ તેની દુકાનના સરનામા પર જઈને તપાસ કરતા દુકાન બંધ કરી ભાગી ગયો હોવાનું સામે આવતા ફરિયાદીએ બંને લોકો સામે 1.58 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. નીરવ કનોડિયા સાથે 5 વેપારીઓએ 2.64 કરોડની ઠગાઈ કરીનીરવ કનોડિયા પાસેથી કલરિધાન ટ્રેન્ડસ લિમિટેડના માલિક આદિત્ય નિરંજન અગ્રવાલે કંપનીના દલાલ મહેશ મારફતે નંદપ્રિયા ફેબ્રિક્સ પ્રાઇવેટ લિમિટેડમાં 64 લાખથી પણ વધુનો માલ ખરીદ્યો હતો. તેમજ શ્રી જય ગુરુદેવ ટેક્સટાઇલના દલાલ મયંક ખન્ના અને પુરુષોત્તમ શર્માએ 74 લાખનો માલ ખરીદ્યો હતો જેની રકમ અવાર નવાર ફરિયાદીએ માંગી છતાં આપવામાં આવી નહીં તો SRD ટેક્સટાઇલના માલિક રમેશ તાયલે 31 લાખનો માલ ખરીદ્યો હતો તેની રકમ પણ ફરિયાદીને ન આપતા છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. નીરવ કનોડિયાને 5 જેટલા વેપારીઓએ કુલ 2.64 કરોડ રૂપિયાની ચૂકવણી ન કરતા પાંચેય લોકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. કુબેરનગરમાં વેપારી સાથે 91 લાખની ઠગાઈકુબેરનગર વિસ્તારમાં રહેતા વેપારી સાથે પણ છેતરપિંડી થઈ છે. દલાલ મીઠાલાલ ઉર્ફે મહેશ બગનાણી અને ઘનશ્યામ મહેશભાઈ બગનાણી પાંચકુવા વિસ્તારમાં રિતેશકુમાર નામની ફર્મ ચલાવે છે. જેમને ફરિયાદી વેપારીનો વિશ્વાસ કેળવી રિતેશકુમાર નામની ફર્મમાથી કે.એચ. ક્રિએશનમાંથી 2018થી 2021 સુધી 3.28 કરોડનો રેડીમેડ કુર્તી, રિ, કોટનનો કપડાનો માલ 30 દિવસની ઉધારીમાં ખરીદ્યો હતો. જે સમયમાં પેમેન્ટની ચૂકવણી કરવાનો વાયદો કર્યો હતો તે સમયમાં ચૂકવણી કરી નહતી. જે બાદ ટુકડે ટુકડે વર્ષ 2022માં 2.37 કરોડની ચૂકવણી હતી. પરંતુ તેમ છતાં 91 લાખ જેટલા રૂપિયા વેપારીને લેવાના નીકળતા હતા. જે બાદ ફરિયાદી વેપારીએ અનેક વખત રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ માલ વહેંચી દીધા બાદ પણ બાકી રહેતું પેમેન્ટ ન કરતા ફરિયાદીએ દલાલ દલાલ મીઠાલાલ ઉર્ફે મહેશ બગનાણી અને ઘનશ્યામ મહેશભાઈ બગનાણી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. 55 વર્ષીય વેપારી સાથે 1.29 કરોડની છેતરપિંડી55 વર્ષીય નિમિષભાઈ શાહ છેલ્લા 15 વર્ષથી લોખંડની અલગ-અલગ વસ્તુઓ ખરીદ વેચાણ કરવાનું કામ કરે છે. જેમનો હિતેશ પંચાલ નામના વ્યક્તિએ વિશ્વાસ જીત્યો હતો. ફરિયાદીનો ભરોસો જીતીને પાશ્વનાથ સ્ટીલ ટ્યૂબ ટ્રેડમાંથી 2024થી 2025 સુધીમાં લોખંડના પતરા, પ્લેટ, ગેલ્વેનાઈઝના પતરા, ગેલ્વેનાઈઝ પતરાની કોઈલ, ચેનલ, સી.આર.ના પતરા અલગ-અલગ 24 ટેક્સ ઇનવૉઇસ બિલ મારફતે 1.73 કરોડનો માલ લીધો હતો. જે બાદ 73 લાખ રૂપિયા ચૂકવ્યા બાદ એક કરોડની રકમ ચૂકવી નહીં તેમજ મનીષભાઈ પાસેથી કર્ણાવતી સ્ટીલ ટ્રેડર્સમાથી વર્ષ 2025માં 1.17 કરોડનો લોખંડની ચેનલ તથા એંગલ મળી સાથેનો માલ અલગ-અલગ કુલ 7 ટેક્સ ઇનવૉઇક્સ બિલ મારફતે ખરીદી કરી હતી. માલ લીધા બાદ રકમની ચુકવણી કરી ન હતી તેમજ આરોપી દિપક રાઠોડ ફરિયાદીની શ્રી પાર્શ્વનાથ સ્ટીલ ટ્યુબ ટ્રેડર્સમાંથી વર્ષ 2024માં પત્ર તથા લોખંડની પાઇપો મળી કુલ 24 લાખનો માલ ખરીદ્યો હતો. જે બાદ ફરિયાદીને 13 લાખ રૂપિયા ચૂકવી આપ્યા હતા. જે બાદ બાકીનું પેમેન્ટ ન આપતા માલ બીજા વેપારીઓને વેચી ફરિયાદીને નાણાં ન આપ્યા. કુલ 1.29 કરોડ રૂપિયા નહીં ચૂકવી ફરિયાદી સાથે છેતરપિંડી આચરતા ફરિયાદીએ દિપક રાઠોડ અને હિતેશ પંચાલ સામે ફરિયાદ નોંધાવી છે.
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બડોદર ગામેં યોજાયેલ ગ્રામસભા દરમિયાન ભારે હોબાળો મચ્યો હતો. ગામમાં લાંબા સમયથી પડતર પ્રશ્નો, વિકાસના કામોમાં થતી નબળી ગુણવત્તા અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે મહિલા સરપંચ સહિત સમગ્ર ગ્રામજનોએ ગ્રામસભાનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હતો. ગામના વિકાસના કામો કાગળ પર જ રહી જતા હોય અને વારંવારની રજૂઆતો છતાં અધિકારીઓ ધ્યાન ન આપતા હોવાથી લોકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. નબળા કામો અને અધૂરી સુવિધાઓથી જનતા પરેશાન બડોદર ગામના મહિલા સરપંચે પોતે સ્વીકાર્યું હતું કે ગામમાં અનેક વિકાસ કામોની ફાળવણી તો થઈ છે, પરંતુ તેની ગુણવત્તા અત્યંત નબળી છે. રોડ-રસ્તા, સ્કૂલ અને હોસ્પિટલના કામો હાલ અધૂરી હાલતમાં છે. ગામમાં જ્યારે પણ કામ શરૂ થાય છે ત્યારે નબળી ગુણવત્તાને કારણે ગ્રામજનો વિરોધ કરે છે અને કામ બંધ પડી જાય છે. સરપંચની માંગ છે કે ગામમાં તમામ કામગીરી નીતિ-નિયમો મુજબ અને ગુણવત્તાયુક્ત થવી જોઈએ. વર્ષમાં ચાર ગ્રામસભાઓ છતાં કામ શૂન્ય: ગ્રામજનો ગામના અગ્રણી પ્રતાપભાઈ જેબલીયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, વર્ષમાં ચારથી વધુ ગ્રામસભાઓ યોજાય છે અને તેમાં અનેક મુદ્દાઓ સૂચવવામાં આવે છે, પરંતુ આ મુદ્દાઓ ક્યારેય ઉચ્ચ કક્ષાએ પહોંચાડવામાં આવતા નથી. ગામથી ગામને જોડતા રસ્તાઓ, પેવર બ્લોકની કામગીરી અને ચોમાસામાં ધોવાયેલા રસ્તાઓનું હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. ગ્રામજનોના મતે, ગ્રામસભા માત્ર નામ પૂરતી યોજાય છે અને ભ્રષ્ટાચારને કારણે વાસ્તવિક વિકાસ થતો નથી, જેના વિરોધમાં આજે બહિષ્કારનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. ગંદકી અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ સ્થાનિક રહીશ કમલેશભાઈ મહિડાએ જણાવ્યું કે ગામમાં ભૂગર્ભ ગટરની કુંડીઓમાંથી પાણી બહાર નીકળતા હોવાથી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. સ્કૂલના કામમાં ભારે ભ્રષ્ટાચાર થતો હોવાથી કામ બંધ કરાવવામાં આવ્યું હતું, પરંતુ કોન્ટ્રાક્ટરો મનમાની કરીને ફરીથી નબળું કામ શરૂ કરી દે છે. આ બાબતે રજૂઆત કરવા છતાં તંત્ર મૌન સેવી રહ્યું છે. બાળકોને સ્કૂલમાં ભણવામાં પણ મુશ્કેલી પડી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું. તલાટી મંત્રીએ પણ લોકોના રોષને વ્યાજબી ઠેરવ્યો હાલમાં જ ચાર્જ સંભાળનાર તલાટી મંત્રી ભૂમિકાબેન ડાભીએ જણાવ્યું હતું કે ગ્રામજનોની રજૂઆતો યોગ્ય રીતે ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી નથી તે સત્ય છે. 66 KV સબ સ્ટેશન માટે જગ્યાનો પ્રશ્ન હોય કે ગામને જોડતા રસ્તાની વાત હોય, લોકોની અપેક્ષાઓ પૂર્ણ ન થતા આજે ગ્રામસભામાં વિરોધ થયો છે. તેમણે ખાતરી આપી હતી કે હવે તમામ પડતર પ્રશ્નો અને ગ્રામજનોની માંગણીઓને ઉચ્ચ કક્ષાએ પહોંચાડી વહેલી તકે ઉકેલ લાવવા પ્રયાસ કરવામાં આવશે.
પાલનપુરમાં 20 ડિસેમ્બરની સાંજે થયેલી યુવકની હત્યામાં પોલીસે 10 ટીમો બનાવીને છ આરોપીઓની ગઇકાલે ધરપકડ કરી હતી. જેમને કોર્ટમાં રજૂ કરીને પોલીસે આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આજે મુખ્ય આરોપી લાલો માળી સહિત છ આરોપીઓને સાથે રાખીને પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું છે. જોકે, પોલીસ દ્વારા આરોપીઓને લાકડીઓથી માર મારતા વીડિયો પણ ચર્ચાનો વિષય બન્યો છે. આરોપીઓને ફાંસી આપવાની માંગઆજે વહેલી સવારે પોલીસ છ આરોપીઓને દોરડાથી બાંધીને પાલનપુરના એરોમાં સર્કલ પર લઇ આવી હતી અને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરી પંચનામુ કર્યું હતું. આરોપીઓને જોતા જ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને લોકોએ આક્રોશ સાથે આરોપીઓ સામે કડકમાં કડક સજા થાય તેવી માંગ ઉઠાવી હતી. આ ઉપરાંત 'આરોપીઓને ફાંસી આપો', 'કડક સજા થવી જોઈએ' અને 'ગુજરાત પોલીસ જિંદાબાદ' જેવા નારા સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. શું છે સમગ્ર મામલો20 ડિસેમ્બરની સાંજે ગાદલવાડા ગામના નિતિનકુમાર કેશરભાઇ ચૌધરી અને ભરતભાઇ ગણેશભાઇ ચૌધરી અમદાવાદ હાઈવે પર આવેલી રામદેવ હોટલ પાસે ત્યાં બેઠા હતા. તે દરમિયાન 3થી 4 ગાડીમાં આવેલા 10થી વધુ વ્યક્તિઓએ તલવારો, પાઈપો અને લાકડીઓ લઈ એમના ઉપર અચાનક હુમલો કરી દીધો હતો. જે બાદ તે લોકો ત્યાંથી ભાગી નીકળ્યા હતા. આ હુમલામાં ભરત ચૌધરીનું મોત થયું હતું, જ્યારે નિતિન ચૌધરી હજી સારવાર હેઠળ છે. મુખ્ય આરોપી ઉદયપુરથી ઝડપાયોઆ મામલે પોલીસે પાલનપુરના ભાર્ગવ મંડોરા ઉર્ફે લાલો માળી સહિત 24 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો અને પોલીસની 10 ટીમો બનાવી સમગ્ર ગુજરાત તેમજ રાજ્ય બહાર તપાસ માટે મોકલવામાં આવી હતી. આ દરમિયાન ગઇકાલે મુખ્ય આરોપી ભાર્ગવ ઉર્ફે લાલો નિમેશભાઈ મંડોરા (માળી)ને રાજસ્થાનના ઉદેપુરથી ઝડપી પાડ્યો હતો. અન્ય ટીમો દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સથી મળેલી માહિતીના આધારે અલગ-અલગ સ્થળોએથી અન્ય પાંચ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. તમામ આરોપીઓને પોલીસે ગઇકાલે કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જોકે, કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ઝડપાયેલા આરોપીઓ- ભાર્ગવ ઉર્ફે લાલો નિમેશભાઈ મંડોરા (રહે. તુલશીપાર્ક સોસાયટી,પાલનપુર)- રીકી નોયલ રોકસ્બ્રો (રહે.પાલનપુર)- ભરત ભુરાજી રાજપુત (રહે.ટડાવ તા.ઢીમા જી.વાવ થરાદ)- ભૌતિક જગદીશભાઇ પરમાર (રહે.પરખડી તા.વડગામ)- ગણપત સેનજીભાઇ ઠાકોર (રહે.આકેસણ તા.પાલનપુર)- અનિલભાઇ શંકરભાઇ બાવરી (રહે.તારાનગર. પાલનપુર) પૈસાની લેતીદેતીમાં યુવકની હત્યાની કબૂલાતપોલીસની પ્રાથમિક પુછપરછમાં આ હત્યા પૈસાની લેતીદેતીના વિવાદને કારણે થઈ હતી. નિતિનભાઈ કેશરભાઈ ચૌધરીને આરોપી ભાર્ગવ મંડોરા ઉર્ફે લાલો માળી સાથે પૈસાનો પ્રશ્ન હતો. આ અંગે વાતચીત કરવા નિતિનભાઈ, ભરતભાઈ ચૌધરી અને અન્ય એક વ્યક્તિ તેમની કાર લઈને રામદેવ હોટલ નજીક આવ્યા હતા. ત્યાં મુખ્ય આરોપી ભાર્ગવ મંડોરા ઉર્ફે લાલો માળી અને અન્ય આશરે 24 જેટલા માણસો એકસંપ થઈને કાર, બાઇક અને એક્ટિવા જેવા વાહનોમાં લોખંડની પાઈપો, તલવારો અને ધોકા જેવા જીવલેણ હથિયારો સાથે આવ્યા હતા. તેમણે હુમલો કરતા ભરતભાઇનું મોત થયું હતું. જ્યારે નિતિનભાઇ હજી સારવાર હેઠળ છે. આ પણ વાંચો: પાલનપુરમાં યુવકની હત્યા બાદ ચૌધરી સમાજમાં રોષ ભભૂક્યો આ પણ વાંચો: ભરત ચૌધરીની હત્યાના CCTV, ગણતરીની મિનિટોમાં મોતને ઘાટ ઉતાર્યો આ પણ વાંચો: પોલીસે મુખ્ય આરોપી સહિત 6 શખ્સોને ઝડપીને કોર્ટમાં રજૂ કર્યા
હિંમતનગરમાં ભારતીય કિસાન સંઘની બેઠક યોજાઈ:ગાંધીનગરમાં 2026ના શક્તિ પ્રદર્શનની તૈયારીઓ પર ચર્ચા
હિંમતનગરમાં ભારતીય કિસાન સંઘના કાર્યાલય ખાતે એક વિશેષ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 12 જાન્યુઆરી, 2026ના રોજ ગાંધીનગર ખાતે યોજાનાર શક્તિ પ્રદર્શનની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ શક્તિ પ્રદર્શન ભારતીય કિસાન સંઘની 25થી વધુ પડતર માંગણીઓ અને પ્રશ્નોને લઈને સરકાર સામે યોજાશે. શનિવારે હિંમતનગર જિલ્લા ભારતીય કિસાન સંઘના કાર્યાલય ખાતે આયોજિત આ બેઠકમાં જિલ્લા પ્રમુખ, કારોબારી સભ્યો, તાલુકા પ્રમુખો અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરના સેક્ટર 17માં વિધાનસભા સામે સરદાર પટેલની પ્રતિમા પાસે સવારે 9 કલાકે આ શક્તિ પ્રદર્શન યોજાશે. બેઠકમાં કિસાનોના 25થી વધુ પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા સરકાર સામે શક્તિ પ્રદર્શનની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. ભારતીય કિસાન સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ શક્તિ પ્રદર્શનમાં સાબરકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી 8 થી 10 હજાર કિસાનો જોડાશે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે એક યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે પાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા ટાંકીની સફાઈ દરમિયાન પાણીના નિકાલ માટે 15 ફૂટથી વધુ ઊંડી ચેમ્બરનું ઢાંકણ ખુલ્લું રાખવામાં આવ્યું હતું, જેમાં પડી જવાથી યુવકે જીવ ગુમાવ્યો છે. ભાસ્કરે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા વડોદરા મનપાએ રાતોરાત મેન હોલ પર ઢાંકણું મૂકી ફરતે બેરિકેટિંગ કરી દીધું હતું. મ્યુ. કમિશનરે ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ઘટનામાં જેમની પણ બેદરકારી છે તેમની સામે પગલાં લેવામાં આવશે. ખુલ્લી ગટરમાં પડતી જતા યુવકનું મોત નિપજ્યું હતુંમાંજલપુર વિસ્તારમાં બનેલી આ દુઃખદ ઘટનામાં એલેમ્બિકમાં નોકરી કરતા અને નિવૃત Dyspના પુત્ર વિપુલસિંહ મોહનસિંહ ઝાલા (ઉંમર વર્ષ 43)નું મોત નીપજ્યું હતું. આ યુવક અને તેઓના સંબંધી સાથે ચાઈનીઝ ખાવા ગયા હતા અને અને આ દુર્ઘટના સર્જાઈ હતી. મૃતક વિપુલસિંહ ઝાલાને પાંચ વર્ષનો પુત્ર છે. આજે એકના એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટના અંગે અમે સ્થળ પર પહોંચ્યા તો બેદરકાર તંત્રએ યુવકના મોત બાદ ગટરનું ચેમ્બર બંધ કરી તેના પર બોર્ડ મૂકી દીધું હતું. આ ચેમ્બર આસપાસ જડબેસલાક ઘટના બાદ તાત્કાલિક બેરીકેટિંગ કરેલ નજરે પડ્યું હતું. આ ઘટના અંગે આસપાસના લોકો સાથે દિવ્ય ભાસ્કરે વાતચીત કરી હતી. આ ઘટના જ્યાં બની હતી ત્યાં પાણીની ટાંકી આવેલી છે અને ત્યાં જ એક એમ્બ્યુલન્સ પણ ઉભી રહે છે. પરંતુ આ યુવકને બહાર કાઢવામાં સમય લાગ્યો જેથી તેનો જીવ બચી શક્યો નહીં. અમે સ્થળ પર જોયું તો જાણે અહીંયા કઈ થયું જ ન હોય તેવી રીતે દ્રષ્ટિહીન તંત્રએ ઘટના સ્થળે બેરીકેટિંગ અને ચેમ્બરને ઢાંકણ મારી કામગીરી પૂર્ણ કરી દીધી હતી. અમે અહીંયા પોહચી સ્થાનિકો સાથે વાતચીત કરી હતી. લોકોએ વડોદરા મહાનગરપાલિકા પર રોષ ઠાલવ્યોઆ ઘટના અંગે સ્થાનિક દશરથ લીલાધરભાઈ મિસ્ત્રીએ કોર્પોરેશન સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ ઘટના અંગે જાણ્યું તે બહુ ખોટું થયું છે. આ કોર્પોરેશનની બેદરકારીને કારણે જ આવું થયેલું છે. આવી રીતે આટલી ગટરનું ઢાંકણું ખુલ્લું મૂકેલું હોય અને કોઈ માણસનો પગ પડી જાય અને તેનું મૃત્યુ થાય તો તેની જવાબદારી કોણ લેશે હવે? કોન્ટ્રાક્ટર લેશે કે કોર્પોરેશન લેશે?. આ જવાબદારી કોર્પોરેશનની છે. છેલ્લા છ મહિનાથી આ આખું વડોદરા ખોદી નાખ્યું છે. તમે જ્યાં જાઓ ત્યાં ખોદ-ખોદ-ખોદ! આ રોડ પ્લેન દોડે એવા હતા, આજે થીગડાં મારે છે અને થીગડાંમાંય કોઈ ઠેકાણા નથી. વધુમાં કહ્યું કે, કોઈ માણસ જોવા જ નથી આવતું ને કે આ કોન્ટ્રાક્ટર કામ કરે છે કે નહીં? બસ, કરી નાખ્યું ને પતી ગયું. આ ઘટનામાં જવાબદાર તો કોર્પોરેશન જ છે. ભલે કોન્ટ્રાક્ટરને કામ આપ્યું હોય પણ જવાબદારી તો કોર્પોરેશનની છે. એણે ધ્યાન રાખવું જોઈએ કે આ શું થયું?હવે અહીંયા આ બ્રિજ બન્યો છે, અમને એટલો ત્રાસ છે સાંજે કે અમારે રોડ ક્રોસ કેવી રીતે કરવો, અમે કંટાળી ગયા છીએ. કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધવાની માગ આ ઘટના અંગે અહીંના સ્થાનિક આગેવાન ચંદ્રશેખર પાટીલે જણાવ્યું હતું કે, આ ઘટના માંજલપુર પાણીની ટાંકી પાસેની બને છે અને આ ખુલ્લા ડ્રેનેજના ચેમ્બરમાં વિપુલસિંહ ઝાલા નામના યુવાનનું કરૂણ મોત થાય છે. આ તંત્રની ઘોર બેદરકારીના કારણે આ બનાવ બન્યો છે.મને જ્યારે જાણ કરવામાં આવી ત્યારે તાત્કાલિક સ્થળ પર હું પહોંચી ગયો હતો અને અમે લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ આવી હતી, ફાયરમેનોએ એ વ્યક્તિને કાઢ્યો હતો અને ગ્લોબલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વધુમાં કહ્યું કે, સારવાર માટે લઈ ગયા હતા, પરંતુ ત્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. અમે અને તેઓને CPR આપવાનો પ્રયત્ન કર્યો પરંતુ જીવ બચાવી શક્યા ન હતા. આ તંત્રની બેદરકારીના કારણે આ બનાવ બન્યો છે. નિર્દોષ વ્યક્તિના મોત બાદ આજે તંત્ર જાગ્યું છે અને અહીંયા બેરીકેટ લગાવ્યા છે. ગઈકાલે જ કે જ્યારે આ કામગીરી ચાલી રહી છે ત્યારે આવા બેરીકેટ કે આવા સમયસૂચકો, ભયસૂચકો બેરીકેટ લગાવવામાં આવ્યા હોત કે અહીં એક હોર્ડિંગ લગાવવામાં આવ્યું હોત તો આવો બનાવ ના બન્યો હોત અને કોઈ પરિવારે પોતાનો ઘરનો મોભીના ગુમાવવાનો વારો આવ્યો હોત. વધુમાં કહ્યું કે, આ ઘટના અંગે જે કોઈ જવાબદાર અધિકારીઓ છે તેઓની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આ ઘટનામાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે અને આ જે તે કોન્ટ્રાક્ટર છે તેની સામે FIR નોંધવામાં આવે એવી મારી સ્પષ્ટ માંગણી છે. આ દુર્ઘટનામાં જવાબદારો સામે પગલાં ભરવામાં આવશે- મ્યુ. કમિશનરઆ ઘટના અંગે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે,ગઈ કાલે રાત્રે ઘટના બની છે, અમને લગભગ 8:45ની આજુબાજુ ધ્યાને આવેલી હતી. પછી તાત્કાલિક ધોરણે અમે ફાયરની ટીમો મોકલીને સ્થળ ઉપર રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પણ જે માણસને રેસ્ક્યુ કરીને હોસ્પિટલ લઈ ગયા હતા, પણ ત્યાં એનું મૃત્યુ થઈ ગયું હતું તેવું જાહેર કરવામાં આવ્યું હતું. ગઈકાલે બે જગ્યા પર પાણીની ટાંકીનું ક્લિનિંગ પ્રોસેસ ચાલતું હતું. આના પછી જે નજીકના કેમ્પસની બહાર રોડ ઉપર એક મેનહોલ હતો, એની ઉપર જે ડ્રેન ગ્રીડ નાખવાની હતી એ રહી ગયું હતું એવું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળ્યું છે. વધુમાં કહ્યું કે, ગઈ કાલે રાત્રે પણ એની તપાસ આપવાનું કીધું હતું અને તપાસ આપીને સવારે પાણી પુરવઠા વિભાગ દ્વારા બ્રીફ કરવામાં આવ્યું છે. હવે જે પણ સ્થળ ઉપર જેને કામગીરી, ઇજારદારને કામગીરી સોંપી હતી એના ઉપર કાયદાકીય પગલાં અત્યારે લેવામાં નક્કી કર્યું છે. ટુ ધ એક્સ્ટેંટ એમને બ્લેકલિસ્ટ કરવા માટે પણ અમે અત્યારે ડિસિઝન લીધું છે અને સુપરવિઝનમાં જે રોલ હતી, એના ઉપર પણ કાર્યવાહી કરવા માટે અત્યારે સૂચના આપી છે. આ ઘટના બાદ અન્ય જગ્યાએ પણ આ પ્રકારની સ્થિતિ છે તે બાબતે પૂછાતા તેઓએ જણાવ્યું કે, દરેક રિવ્યુ મીટિંગમાં સોલિડ વેસ્ટ, ડ્રેનેજ , મિકેનિકલ શાખા , રોડ પ્રોજેક્ટ, વોટર સપ્લાય તમામ વિભાગોને અમે સૂચના આપતા હોઈએ છીએ. જ્યારે પણ રોડ ખોદવામાં આવે જેમાં ડ્રેજિંગ કરવાનું કામગીરી હોય ત્યારે વર્ક ઇન પ્રોગ્રેસનું બોર્ડ મારવું અને જ્યાં જ્યાં બેરીકેટ કરવા જેવી વસ્તુઓ હોય એ તાત્કાલિક ધોરણે કરવા માટે જે તે વિભાગના અધિકારી અને જે તે ઇજારદારને કે કોન્ટ્રાક્ટર હોય, ઇજારદાર દ્વારા પણ એ કરવાનું ફરજિયાત હોય છે. પણ જે ઘટના ગઈકાલે બની છે એ અફસોસની વાત છે. પણ અમે કડક સૂચના આજે પણ સવારે ગ્રુપમાં પણ લખ્યું છે કે દરેક સ્પોર્ટ ઉપર જે કન્સર્ન અધિકારી છે તે વિઝિટ કરે અને તાત્કાલિક ધોરણે જે પણ પગલા લેવાના હોય એ કરે જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ક્યારેય પણ ના બને. વધુમાં કહ્યું કે, આ ઘટના બાદ ખાસ કરીને ડેપ્યુટી એન્જિનિયર્સ અને આસિસ્ટન્ટ એન્જિનિયર્સ જે ફિલ્ડમાં કટિંગ એજમાં કામગીરી કરતા હોય છે એમને સૂચના આપી છે. સુપરવિઝન લેવલની જે DEs અને EEs હોય એમને પણ આના ઉપર જવાબદારી પૂર્વક કામગીરી કરવા માટે સૂચના આપી છે. આ ઘટના બાદ કડક પગલાં લેવાનું નક્કી કર્યું છે અને આવનારા દિવસોમાં એવી કોઈ ઘટના ના બને એના માટે પણ સુપરવિઝન વધારે કરવા માટે પણ સૂચના આપી છે.
હિંદુ સંગઠનો દ્વારા નાતાલની ઉજવણીને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે 27 ડિસેમ્બરના રોજ અમદાવાદના એસજી હાઇવે પર થલતેજ નજીક આવેલા પેલેડિયમ મોલમાં ભગવા સેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ભગવાન સેનાના ચારથી પાંચ કાર્યકર્તાઓ પેલેડિયમ મોલ ખાતે પહોંચી ગયા હતાં અને મોલમાં લગાવવામાં આવેલા ક્રિસમસ ટ્રીને નીચે પાડી તોડફોડ કરવામાં આવી હતી. જે પણ ક્રિસમસ ટ્રી લગાવ્યા હતા તેને તાત્કાલિક દૂર કરવા માટે ભગવા સેના દ્વારા માગ કરવામાં આવી હતી. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ઘટનાસ્થળે પહોંચી કાર્યકર્તાઓને અટકાયત કરી લઈ ગઈ હતી. સમજાવટ બાદ પણ તોડફોડ કરીઉલ્લેખનિય છે કે, 25 ડિસેમ્બરથી લઇ 31 ડિસેમ્બર સુધી નાતાલ અને નવા વર્ષની ઉજવણીને લઈને અલગ-અલગ જગ્યાઓ અને મોલ પર ક્રિસ્મસ ટ્રી, શાંતાક્લોઝ, લાઈટિંગ સહિતના શણગાર કરવામાં આવતા હોય છે. આજે પેલેડિયમ મોલમાં અચાનક જ ભગવા સેનાના કાર્યકર્તાઓ આવી જતા સિક્યુરિટીમાં દોડધામ મચી ગઈ હતી. મોલ દ્વારા તેઓને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, છતાં પણ તેઓ દ્વારા તમામ ક્રિસ્મસ ટ્રી અને શણગારેલી વસ્તુઓમાં તોડફોડ કરી દૂર કરવા માટે માગ કરી હતી.
બોટાદ જિલ્લાના ઢીંકવાળી અને લાઠીદડ ગામને જોડતા માર્ગ પર ટૂંક સમયમાં ડામરકામ શરૂ થશે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આ કાચા રસ્તાને પાકા ડામર રોડમાં રૂપાંતરિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બોટાદ જિલ્લા પંચાયતના પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે. હાલ આ માર્ગ પર મેટલિંગ અને માઇનર બ્રિજની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જે હવે પૂર્ણતાના આરે છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ તરત જ ડામરકામ શરૂ કરવામાં આવશે. લાંબા સમયથી કાચા રસ્તાને કારણે વાહનવ્યવહાર અને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરી રહેલા ગ્રામજનો અને ખેડૂતો માટે આ કામગીરી રાહતરૂપ સાબિત થશે. ડામર રોડ તૈયાર થવાથી ઢીંકવાળી ગામના રહેવાસીઓ અને ખેડૂતોને લાઠીદડ ગામ સુધી પહોંચવું સરળ બનશે. આ ઉપરાંત, ખેતી પેદાશોના પરિવહનમાં સમય અને ખર્ચ બંનેમાં ઘટાડો થશે.
અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા હરી દર્શન ચાર રસ્તા પાસે શેલબી હોસ્પિટલની સામે આશીર્વાદ એવન્યુ નામનું કોમર્શિયલ કમ રેસીડેન્સી બિલ્ડિંગ આવેલું છે. સ્થાનિક રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં જે સ્પા ચલાવવામાં આવે છે તેમાં અનૈતિક કામો(ગોરખધંધો) થાય છે મોડી રાત સુધી દુકાનો ચાલુ રહેતી હોય છે અને ત્યાં અસામાજિક તત્વો બેસેલા હોય છે જેના કારણે થઈને સોસાયટીના રહીશોને અવરજવરમાં ડર લાગે છે. નરોડા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી, ત્યારે થોડા સમય માટે પોલીસ આવી અને જતી રહે છે. સોસાયટીનો બેઝમેન્ટ પાર્કિંગમાં જવાનો રસ્તો પણ કોમર્શિયલ દુકાનવાળા દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો છે. સ્પાની આડમાં ગોરખધંધો અને પાર્કિંગ જવાને રસ્તે દબાણઅમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં હરી દર્શન ચાર રસ્તા પાસે શેલ્બી હોસ્પિટલની સામે આશીર્વાદ એવન્યુ નામનું કોમર્શિયલ કોમ્પ્લેક્સ કમ રેસીડેન્ટ બિલ્ડિંગ આવેલું છે આશીર્વાદ એવન્યુમાં અંદાજે 308 જેટલા મકાનો આવેલા છે જેમાં 1000થી વધારે લોકો રહે છે. આશીર્વાદ એવન્યુના કોમ્પ્લેક્સમાં સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં 10થી 15 જેટલા સ્પા ચાલે છે. જેમાં અનેક અનૈતિક કામો થાય છે સ્પા નહીં પરંતુ કુટણખાના છે. જેના કારણે હેરાન પરેશાન થઈ ગયા છે આ બાબતે સ્થાનિક નરોડા પોલીસ સ્ટેશનને અવારનવાર જાણ કરવા છતાં પોલીસ આવી અને જતી રહે છે. સ્થાનિક પોલીસ દ્વારા સ્પાની સામે ફરિયાદ કરવાની જગ્યાએ સોસાયટીના લોકો સામે ફરિયાદ કરવા લઈ જાય છે. આશીર્વાદ એવન્યુમાં બંને ગેટ બંધ કરતાં સ્થાનિકોનો હોબાળોસ્થાનિક કેટલાક લોકો દ્વારા તો જણાવવામાં આવ્યું હતું કે, આ બાબતે અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ અહીંયા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી. તરફ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કોમ્પ્લેક્સ આવેલા છે તેમાં પાર્કિંગ માટેની જગ્યા હોવી જોઈએ અને જો પાર્કિંગની વ્યવસ્થા હોય તો તે જગ્યા ખુલ્લી રાખવી તે બાબતે જાણ કરવામાં આવે છે તેમ છતાં પણ આશીર્વાદ એવન્યુમાં બંને ગેટ બંધ કરવામાં આવ્યા છે. કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં જે પાર્કિંગની જગ્યા છે ત્યાં કોઈ દબાણ ન હોવું જોઈએ છતાં પણ આ જગ્યા ઉપર કેટલાક ખાણીપીણીના સ્ટોલ પણ મૂકવામાં આવે છે. લોકોના ટોળા ભેગા થઈ ગયા અને પોલીસ બોલાવાઈ હતીનરોડા પોલીસ સ્ટેશનમાં સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર સ્પા બાબતે અને હેરાનગતિ બાબતે રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા પોલીસ સ્ટેશનના પીઆઈની સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. અગાઉ આ બાબતે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને પોલીસ પણ બોલાવાઈ હતી છતાં પણ આ ફરિયાદોનું નિવારણ થયું નથી. જો સ્થાનિક પોલીસ દ્વારા લેખિતમાં આવી ફરિયાદ કરવામાં આવી રહી છે અને લોકો દ્વારા જાણ પણ કરવામાં આવે છે છતાં પણ કેમ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન આ બાબતે કાર્યવાહી કરતી નથી. 'કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ખૂબ જ અનૈતિક કામો થાય છે'આશીર્વાદ એવન્યુ સોસાયટીના રહેવાસી કાજલબેને જણાવ્યું હતું કે, અમારી સોસાયટીનો જે ગેટ છે ત્યાં કોમર્શિયલ ચાની દુકાનવાળા દ્વારા દબાણ કરી દેવામાં આવ્યું છે. અમારી પાસે સોસાયટીનો ગેટ હોવા અંગેનું લખાણ છે અને કાયદેસરની અમારી જગ્યા હોવા છતાં પણ તેઓ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. આ બાબતે નરોડા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી તો પોલીસ આવી હતી ચાવી પણ લીધી હતી પરંતુ પોલીસ દ્વારા કહેવા છતાં પણ દરવાજો ખોલવામાં આવ્યો નહોતો. કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ખૂબ જ અનૈતિક કામો થાય છે અને રાત્રે આવા જવામાં મહિલાઓને ખૂબ જ તકલીફો પડી રહી છે. 'અમને અવરજવરમાં ખૂબ જ બીક લાગે છે'વધુમાં તેમણે જણાવ્યું હતું કે મોડી રાત સુધી અને ક્યારેક તો આખી રાત ચા ની દુકાનો સહિતની દુકાનો ખુલ્લી હોય છે. જાણે રાત્રે બજાર હોય તેવું સોસાયટીમાં બની ગયું છે અમને અવરજવરમાં ખૂબ જ બીક લાગે છે. પોલીસ દ્વારા એવું કહેવામાં આવે છે કે અહીંયા ચા નાસ્તો મળે છે તમે અમને થોડી ચા નાસ્તો કરાવો છો એમ કહી દીધું હતું. 'સોસાયટીનો કોમનગેટ છતાં ગેટ બંધ કરી દેવામાં આવ્યો 'સોસાયટીના ચેરમેન દર્શનભાઈએ જણાવ્યું હતું કે, સોસાયટીનો કોમનગેટ હોવા છતાં પણ અમને આવવા નથી દેતા અને ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે. કોમર્શિયલ કોમ્પ્લેક્સની બાજુમાં બંને તરફનો ગેટ બંધ છે. બંને તરફ દબાણ કરી દેવામાં આવ્યું છે. બે વર્ષ પહેલાં પણ આ બાબતે અમારા સમાધાન થયું હતું લોકો રોડ ઉપર વાહન પાર્ક કરી દે છે. આ બાબતે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી છે છતાં પણ પોલીસ દ્વારા કોઈપણ પગલાં લેવામાં આવતા નથી. પોલીસ સ્ટેશનમાં અવારનવાર ફરિયાદો કરી છતાં કોઈએ કાર્યવાહી થતી નથી. પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ કરી છે કોર્પોરેશનમાં ટેલીફોનિક રજૂઆત કરી છે સ્થાનિક લોકો દ્વારા પણ રજૂઆત કરાઈ છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. Dymcએ એસ્ટેટ વિભાગને જાણ કરી છેઉત્તર ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ ખનામાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પાર્કિંગની જગ્યા કે બેઝમેન્ટમાં જવાના રસ્તાઓ પણ દબાણ કરવામાં આવ્યું હોય તો તાત્કાલિક ધોરણે આ મામલે એસ્ટેટ વિભાગને જાણ કરી છે અને આ બાબતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. 'હું તપાસ કરાવી લઉં છું'-સ્થાનિક કોર્પોરેટરનરોડા વોર્ડના ભાજપના કોર્પોરેટર વિપુલ પટેલે જણાવ્યું હતું કે આ બાબતે મને રજૂઆત હજી સુધી મળી નથી છતાં પણ આ બાબતે હું તપાસ કરાવી લઉં છું.
જેટકો અને પીજીવીસીએલની ભરતીમાં થયેલા કૌભાંડની તપાસ કરવાની રાજકોટ આવેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ માંગણી કરી હતી. જેમાં જામનગરમાં એપ્રેન્ટિશિપ લાઈનમેનની 120 જગ્યા પર ભરતીમાં 35 ખોટા ઉમેદવારો હતા, જે બદલી નવા લેવાયા. આ ઉપરાંત ગોંડલ, જૂનાગઢ અને કચ્છમાં કૌભાંડ થયુ, પરંતુ તપાસ નથી થઈ. આ સાથે જેટકો પ્લાન્ટ એટેન્ડેન્ટની 157 પોસ્ટનું સેટઅપ ન હોવા છતાં ભરતી કરવામાં આવી. જે બાદ વિરોધ થતા ભરતી રદ કરવામાં આવી. આ ઉપરાંત PGVCLમાં ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટની 1182 જગ્યા માટે ભરતી હતી, જેમાં પોલ ટેસ્ટમાં લાગવગ થઈ હોવાનું કૌભાંડ બહાર લઈ આવતા બધા ઉમેદવારોનું રિ પોલ ટેસ્ટ કરવામાં આવ્યું. 28મી ડિસેમ્બરના રવિવારે PGVCLની ઇલેક્ટ્રીકલ આસિસ્ટન્ટની ભરતી છે, ત્યારે બીજી તરફ ખાનગી જીઇબી એન્જિનિયર્સ એસોસિએશનનું 27મુ ત્રિવાર્ષિક અધિવેશન મળવા જઈ રહ્યુ છે, જેમાં મુખ્યમંત્રી અને ઊર્જા મંત્રી સહિતના ઉપસ્થિત રહેવાના છે. તેમાં અંદાજે રૂ.2 કરોડનો તાયફો થશે તેવા આક્ષેપ સાથે ભરતી કૌભાંડોની તપાસ કરવાની માગ કરી હતી. 35 ઉમેદવારોની ખોટી રીતે ભરતી કરાઈઃ યુવરાજસિંહયુવા અધિકાર ન્યાય ચળવળના પ્રમુખ અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે, જેટકો અને PGVCL કૌભાંડો માટે જાણીતી છે. જેટકો જામનગર એપ્રેન્ટિશિપ લાઈનમેનની 120 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી હતી. જેમાં 35 ઉમેદવારોની ખોટી રીતે ભરતી કરવામાં આવી હતી. રૂ.2 લાખનો વહીવટ થયાની માહિતી છે. જે બાદ વિરોધ કરવામાં આવતા નવા 35 ઉમેદવારોને ચાર મહિના બાદ લેવામાં આવ્યા. જેમાં સિનિયર ક્લાર્ક પી. સી. પટેલની સસ્પેન્ડ કરીને ખંભાળિયા બદલી કરી સંતોષ માની લેવામાં આવ્યો. ડમી ઉમેદવારોએ પરીક્ષા આપ્યાનો આક્ષેપજ્યારે જૂનાગઢ, ગોંડલ અને કચ્છમાં એપ્રેન્ટિશિપ લાઈનમેનની ભરતીમાં પણ કૌભાંડ થયુ છે, તેમ છતાં પણ તેમાં તપાસ કરવામાં આવી નથી. તો તેમાં તપાસ કરવામાં આવે તો અનેક ડમી ઉમેદવારો પરીક્ષા આપતા હોવાનું સામે આવે. આ ઉપરાંત જેટકો પ્લાન્ટ એટેન્ડેન્ટ 157 પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી, પરંતુ સ્ટાફ સેટઅપ નહોતું, જેથી અમારા દ્વારા વિરોધ કરવામાં આવતા તે ભરતી રદ કરવામાં આવી. આ પરીક્ષા આપતા 11,200 ઉમેદવારો હેરાન થયા. આ ઉપરાંત PGVCLમાં ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટની 1182 જગ્યા પર ભરતી થઈ હતી. જોકે અમે વિરોધ કરતા તમામ ઉમેદવારો પાસે રિ પોલ ટેસ્ટ લેવામાં આવી. તાયફાઓને બદલે પારદર્શક ભરતી કરવા માગએક આવતીકાલે ઇલેક્ટ્રીકલ આસિસ્ટન્ટની ભરતી છે, જેમાં પણ કૌભાંડ થવાનું છે તેવી માહિતી છે. જેથી જેટકો અને પીજીવીસીએલ દ્વારા તાયફાઓને બદલે પારદર્શક રીતે ભરતી કરવામાં આવે અને ભરતી કૌભાંડોની તપાસ કરવામાં આવે તેવી માંગણી છે. આ બાબતે આગામી સમયમાં ઉર્જા મંત્રીને પણ રજૂઆત કરવામાં આવશે.
મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીમાં માનવતાને લાંછન લગાવતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બહુચરાજી રેલવે સ્ટેશન નજીક આવેલા પ્રહલાદ કોમ્પલેક્ષ પાસેથી એક નવજાત મૃત શિશુ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિકોએ મૃત હાલતમાં પડેલા શિશુને જોતા પોલીસને જાણ કરીમળતી માહિતી પ્રમાણે કોઈ અજાણી સ્ત્રી દ્વારા પોતાનું પાપ અથવા જન્મ છુપાવવાના ઈરાદે આ તાજા જન્મેલા શિશુને ત્યજી દેવામાં આવ્યું હતું. સ્થાનિકોએ મૃત હાલતમાં પડેલા શિશુને જોતા તુરંત પોલીસને જાણ કરી હતી. આ મામલે બહુચરાજી પોલીસ મથકે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. રેલવે સ્ટેશન તરફની સંડાસ-બાથરૂમની દીવાલ તરફ મૃત નવજાત શિશુ હતુબેચરાજી રેલવે સ્ટેશન પાસે ચાલુ કોમ્પ્લેક્સની સાઇટ પરથી એક મૃત નવજાત શિશુનો પાર્થિવ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. ફરિયાદી હાર્દિક કુમારે બેચરાજી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની કોમ્પ્લેક્સની સાઇટ પર કડિયા કામ કરતા મજૂર દિનેશ વસુનિયાને રેલવે સ્ટેશન તરફની સંડાસ-બાથરૂમની દીવાલની અંદરના ભાગે ત્યજી દીધેલું મૃત નવજાત શિશુ પડેલું જોવા મળ્યું હતું. પોલીસે અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરીઆ બાબતની જાણ થતાં ફરિયાદી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તુરંત બેચરાજી પોલીસને ફોન કર્યો હતો. પોલીસ તુરંત જ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આસપાસ તપાસ કરી હતી. ત્યારબાદ મૃત શિશુના પાર્થિવને ટોકરમાં મૂકીને બેચરાજી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું. સમગ્ર કેસમાં નવજાત મૃત શિશુને અહીં કોણે ત્યજી દીધું તેની વિગતો મળી ન આવતાં પોલીસે અજાણી મહિલા કે તેના વાલી-વારસદાર સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉત્તરાયણ પૂર્વે પાટણમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ અને હેરાફેરી બદલ ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ પાટણ સિટી એ-ડિવિઝન પોલીસે અલગ-અલગ બે સ્થળેથી આ કાર્યવાહી કરી છે. પોલીસે કુલ 69 નંગ ચાઇનીઝ ફિરકીઓ અને પરિવહન માટે વપરાતી એક રિક્ષા સહિત ₹67,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રથમ કિસ્સામાં, પાટણ શહેરમાં ચાઇનીઝ દોરીના વેચાણને રોકવા માટે ચાલી રહેલા પેટ્રોલિંગ દરમિયાન ખોખરવાડો ઓડવાસ વિસ્તારમાંથી એક શખ્સ ઝડપાયો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે રોહિતભાઈ નગીનભાઈ અજમલભાઈ ઓડના રહેણાંક મકાનમાં તપાસ કરતા પ્લાસ્ટિકના થેલામાંથી 'મોનો કિંગ ગોલ્ડ' લખેલી નાયલોન (ચાઇનીઝ) દોરીની 23 ફિરકીઓ મળી આવી હતી. આ મુદ્દામાલની અંદાજિત કિંમત ₹5,750 આંકવામાં આવી છે. બીજા કિસ્સામાં, બુકડી કસાવાડા નજીક વોચ દરમિયાન પોલીસે રિક્ષા નંબર GJ-27-U-4443 ને અટકાવી હતી. રિક્ષાની પાછળની સીટમાં સફેદ કંતાનથી પેક કરેલા કાર્ટૂનની તપાસ કરતા તેમાંથી નાયલોન દોરીની 45 ફિરકીઓ મળી આવી હતી. આ મામલે પોલીસે રિક્ષા ચાલક અમિતભાઈ મહેશભાઈ પટણી અને તેની સાથે બેઠેલા મહેશભાઈ નગીનભાઈ પટણીની અટકાયત કરી હતી. પોલીસે ₹11,250ની કિંમતની 45 ફિરકીઓ અને ₹50,000ની રિક્ષા મળી કુલ ₹61,250નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આમ, પાટણ સિટી એ-ડિવિઝન પોલીસે બંને સ્થળોએથી કુલ ₹67,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 223 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ ભાસ્કરકુમાર અને પ્રકાશકુમારને સોંપવામાં આવી છે.
જૂનાગઢના પવિત્ર ગિરનારની તળેટીમાં આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનારા મિની કુંભ ગણાતા 'મહાશિવરાત્રી મેળા'ને લઈને વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. રાજ્ય સરકારની સૂચના અને જૂનાગઢ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ મહાનગરપાલિકા, પોલીસ તંત્ર અને વહીવટી તંત્રની સંયુક્ત ટીમ દ્વારા ભવનાથ ક્ષેત્રમાં મેળાના સ્થળની મુલાકાત લઈ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ભાવિકોના સંભવિત ધસારાને ધ્યાને લઈ આયોજન ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રી મેળામાં દર વર્ષે લાખો ભાવિકો ઉમટી પડે છે. ચાલુ વર્ષે કૌમોસમી વરસાદ અને માવઠાના કારણે ગિરનારની લીલી પરિક્રમા રદ કરવામાં આવી હતી, જેના પરિણામે આગામી મહાશિવરાત્રી મેળામાં ભાવિકોનો ઘસારો અન્ય વર્ષો કરતા ઘણો વધારે રહેવાની શક્યતા સેવાઈ રહી છે. આ બાબતને ગંભીરતાથી લઈ તંત્ર દ્વારા ભાવિકોની સુખ-સુવિધા અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નિરીક્ષણ હાથ ધરાયું હતું. સાંકડા રસ્તાઓ પહોળા કરાશે અને દબાણો દૂર થશે આ મુલાકાત અંગે માહિતી આપતા પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી મળેલી રજૂઆતો અને ભવિષ્યમાં સર્જાનારી ભીડને ધ્યાને લઈ ભવનાથના અલગ-અલગ વિસ્તારોનો સર્વે કરવામાં આવ્યો છે. ખાસ કરીને ભરડાવાવ નજીકનો રસ્તો અત્યંત સાંકડો છે, જ્યાં મેળા દરમિયાન ભારે ભીડ અને ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. આ વિસ્તારને વ્યવસ્થિત રીતે પ્લાનિંગ કરી રસ્તો પહોળો કરવામાં આવશે જેથી ભાવિકોની અવરજવર સરળ બને. દબાણ હટાવ ઝુંબેશ તેજ બનશે. વહીવટી તંત્ર દ્વારા મજેવડી ગેટથી લઈ ગિરનાર દરવાજા સુધીના તમામ વિસ્તારોમાં પણ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. અગાઉ અહીંથી અનેક દબાણો દૂર કરાયા હતા, પરંતુ જો ફરીથી કોઈ ગેરકાયદે દબાણો જોવા મળશે તો તેને વહેલી તકે દૂર કરવામાં આવશે. ટ્રાફિકને અડચણરૂપ બનતા કોઈપણ દબાણને સાંખી લેવામાં આવશે નહીં. મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓને કોઈ અગવડતા ન પડે અને મેળો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા આગામી દિવસોમાં કામગીરી વધુ તેજ બનાવવામાં આવશે.
પાટણ નગરપાલિકાએ શહેરના આંતરમાળખાકીય વિકાસ માટે 25.30 કરોડથી વધુના ખર્ચના 10 વિવિધ કામો માટે ઈ-ટેન્ડરિંગ નોટિસ પ્રસિદ્ધ કરી છે. આ કામોમાં અદ્યતન ટાઉનહોલનું નિર્માણ, વિવિધ વિસ્તારોમાં સીસી રોડ, ડામર રોડ અને વરસાદી પાઈપલાઈન નાખવાની કામગીરીનો સમાવેશ થાય છે. નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા વિવિધ ગ્રાન્ટ હેઠળ મંગાવવામાં આવેલા આ ટેન્ડરમાં સૌથી મોટું કામ પાટણ શહેરના સર્વે નંબર 170 માં 14.99 કરોડના અંદાજિત ખર્ચે ટાઉનહોલ (ઓડિટોરિયમ) બનાવવાનું છે. આ ઉપરાંત, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (SJMMSVY) હેઠળ શહેરના 29 વિસ્તારોમાં 2.22 કરોડના ખર્ચે સીસી રોડ, બ્લોક પેવિંગ અને જીમખાના ખાતે પેવર બ્લોક, સ્ટેજ તથા ટોયલેટ બ્લોક બનાવવાનું આયોજન કરાયું છે. અન્ય એક કામમાં 1.89 કરોડના ખર્ચે શહેરના 32 વિસ્તારોમાં સીસી રોડ, પેવર બ્લોક અને સ્ટોર્મ વોટર લાઈન નાખવામાં આવશે. રસ્તાઓના નવીનીકરણ માટે પાલિકા દ્વારા મોટા પાયે આયોજન હાથ ધરાયું છે, જેમાં 2.60 કરોડના ખર્ચે આઉટગ્રોથ એરિયાના 06 વિસ્તારોમાં ડામર રોડ અને 1.64 કરોડના ખર્ચે 09 વિસ્તારોમાં મેટલિંગ કરી પેવરથી ડામર રોડ બનાવવામાં આવશે. પીતાંબર તળાવ પાસેના રેલ્વે નાળાથી પી.ટી.સી. કોલેજ થઈ સરસ્વતી નદીના બ્રિજ સુધીના ડામર રોડને ₹83.07 લાખના ખર્ચે રીસરફેસિંગ કરાશે. શહેરના જુદા જુદા 07 વિસ્તારોમાં પેવરથી ડામર રોડ કરવા માટે 1.54 કરોડ અને 03 વિસ્તારોમાં ડામર રોડ માટે 37.59 લાખની જોગવાઈ કરાઈ છે. આ સિવાય, માખણીયાપરા ખાતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટમાં ટોયલેટ અને સિક્યુરિટી રૂમ બનાવવા ₹21.22 લાખ તથા શહેરના વિસ્તારોમાં વરસાદી પાઈપલાઈન નાખવા ₹89.43 લાખ ખર્ચવામાં આવશે. આ તમામ વિકાસકામો માટે ઓનલાઈન ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી, 2026 રહેશે.
સંઘ પ્રદેશ સેલવાસના ટોકરખાડા વિસ્તારમાં આવેલી એક શાળાની બહાર વિદ્યાર્થિનીઓ વચ્ચે મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના શાળા પરિસરની બહાર બની હતી. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેટલીક વિદ્યાર્થીનીઓ એકબીજા સાથે મારામારી કરી રહી છે. 'દિવ્ય ભાસ્કર' વીડિયોની પુષ્ટિ નથી કરતું આ દરમિયાન એક શિક્ષિકા તેમને રોકવાનો પ્રયાસ કરતી પણ નજરે પડે છે. જોકે, 'દિવ્ય ભાસ્કર' આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી. આ પ્રકારના વીડિયો અગાઉ પણ વાયરલ થયા હોવાના કિસ્સા સામે આવ્યા છે. સ્થાનિક લોકો દ્વારા સંઘ પ્રદેશના શિક્ષણ વિભાગ પાસે આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.
સુરતના તાપી કિનારે આજે માત્ર અઢી મહિનાના ટૂંકા ગાળામાં તૈયાર થયેલા 'અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન'નું ઉદ્ઘાટન કરતાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી એક અલગ જ મિજાજમાં જોવા મળ્યા હતા. પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરતાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હેલ્મેટ મુદ્દે અત્યંત ગંભીર અને કટાક્ષમય નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, પોલીસને જનતાના ખિસ્સા ખાલી કરવામાં રસ નથી પરંતુ, જનતાના જીવ બચાવવા તે તેમની પ્રાથમિકતા છે. તેઓએ કહ્યું હતું કે, લોકો હેલ્મેટ નથી પહેરતા તેમને દંડ કરવાની જગ્યાએ 'ફૂલ' આપીને સન્માનિત કરો અને તેમને સમજાવો. 52 લાખનું બોક્સ અને હર્ષ સંઘવીનું હાસ્યકાર્યક્રમનો સૌથી ચર્ચિત કિસ્સો ત્યારે બન્યો જ્યારે ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ એક છેતરપિંડીના ભોગ બનેલા વેપારીને 52 લાખ રૂપિયાની રોકડ પરત કરવામાં આવી. નવાઈની વાત એ હતી કે, જ્યારે આ રોકડ ભરેલું બોક્સ વેપારીને સોંપવામાં આવ્યું ત્યારે તેઓ તેનું વજન ખમી ન શક્યા અને બોક્સ ઊંચકી ન શકતા હર્ષ સંઘવી ખડખડાટ હસી પડ્યા હતા. સંઘવીએ મજાકિયા અંદાજમાં કહ્યું કે, જે મહેનતની કમાણી લૂંટાઈ હતી, એ જ નોટો આજે સહી-સલામત વેપારીના હાથમાં છે. કરોડોના હીરા અને રોકડ પરત મળતા અનેક વેપારીઓની આંખમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા. યાદ રાખજો અશ્વિનીકુમારની ભૂમિમાં બીજું શું આવેલું છે?હર્ષ સંઘવીએ પોલીસ સ્ટેશન અંગે કહ્યું હતું કે, પહેલી નજરે આરોપી પણ એવું કહેશે કે મને અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન લઈ જાઓ, પણ યાદ રાખજો કે આ અશ્વિનીકુમારની ભૂમિમાં બીજું શું આવેલું છે! સ્મશાનના આડકતરા ઉલ્લેખથી તેમણે ગુનેગારોને સીધો સંદેશ આપ્યો કે સુરતના વેપારીઓને પરેશાન કરનારને છોડવામાં નહીં આવે. હેલ્મેટ મુદ્દે રાજકારણ ખેલનારાઓને આડે હાથ લીધાહેલ્મેટ પહેરવા બાબતે સોશિયલ મીડિયા પર જ્ઞાન વહેંચતા'ઇન્ફ્લુએન્સર'અને રાજકારણીઓને હર્ષ સંઘવીએ આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે, અકસ્માતમાં 90 ટકા મોત હેલ્મેટ ન પહેરવાને કારણે થાય છે. મારે કોઈના દંડની જરૂર નથી, જે હેલ્મેટ ન પહેરે તેને ફૂલ આપીને સમજાવો. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ મુદ્દે રાજકારણ ખેલનારાઓએ યાદ રાખવું જોઈએ કે આ જીવ બચાવવાની વાત છે. નવું પોલીસ સ્ટેશન અસામાજિક તત્વો માટે ભયનું પ્રતીક બની ગયું ગૃહરાજ્યમંત્રીએ સુરત પોલીસને સ્પષ્ટ સૂચના આપી છે કે, વેપારી સાથે છેતરપિંડી કરનાર ગમે ત્યાં છુપાયો હોય, તેને શોધી કાઢો. તેમણે કહ્યું, મેં પોલીસને કહ્યું છે કે ચીટિંગ કરનાર ભલે પશ્ચિમ બંગાળમાં હોય કે જમ્મુ-કાશ્મીરમાં, તેને નોટિસ મોકલો અને અહીં ખેંચી લાવો. મારા રાજ્યના લોકોને પરેશાન કરશો તો હું કડક થઈશ જ, પછી ભલે કોઈના પેટમાં દુખે! સરદાર પટેલની લોખંડી પ્રતિમા અને તાપી મૈયાના દર્શન સાથેનું આ નવું પોલીસ સ્ટેશન હવે સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે રક્ષક અને અસામાજિક તત્વો માટે ભયનું પ્રતીક બની ગયું છે.
નવસારીનો એક યુવક વિદેશમાં ઊંચા પગારની નોકરીની લાલચમાં મ્યાનમારમાં ફસાયો છે. પ્રિન્સ રમેશભાઈ પટેલ નામના આ યુવક સહિત કુલ દસ ભારતીય યુવાનો સાયબર ક્રાઈમ રેકેટ અથવા છેતરપિંડી નેટવર્કમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે. એજન્ટે ડેટા એન્ટ્રીની નોકરીની લાલચ આપીપ્રિન્સ પટેલે છ મહિના પહેલા ઓનલાઈન અરજી કરી હતી અને પરીક્ષા આપ્યા બાદ નોકરી માટે વિદેશ ગયો હતો. તેને એક એજન્ટ દ્વારા ડેટા એન્ટ્રીની નોકરીની લાલચ આપવામાં આવી હતી. મ્યાનમાર પહોંચ્યા બાદ તેને આ છેતરપિંડીનો અહેસાસ થયો હતો. એકમાત્ર સંતાન હોવાથી પરિવાર ચિંતિતહાલમાં આ તમામ યુવાનો મ્યાનમારના વાડી વિસ્તારમાં એક સ્થાનિક એનજીઓ દ્વારા સંચાલિત સેફ હાઉસમાં આશ્રય લઈ રહ્યા છે. પ્રિન્સ પટેલ માતા-પિતાનો એકમાત્ર સંતાન હોવાથી પરિવાર ચિંતિત છે. પરિવારે નવસારી જિલ્લા વહીવટી તંત્રને આ અંગે જાણ કરી છે અને તેમના દીકરાને વહેલી તકે ઘરે પરત લાવવા માટે માંગ કરી છે.
ભરૂચમાં AAPનો પોલીસ પર દારૂ વેચાણ મુદ્દે આક્ષેપ:જિલ્લા પ્રમુખે રાજકીય દબાણ હેઠળ કામગીરીનો દાવો કર્યો
ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પોલીસની કામગીરી અને ખુલ્લેઆમ દારૂ વેચાણ મુદ્દે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ભોલાવ સર્કિટ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે, દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર ધંધા સામે કડક કાર્યવાહી થતી નથી. પિયુષ પટેલે આરોપ લગાવ્યો હતો કે, કેટલાક પોલીસ અધિકારીઓ રાજકીય દબાણ હેઠળ કામ કરી રહ્યા છે. આના કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ આવતો નથી અને કાયદાનું પાલન યોગ્ય રીતે થતું નથી. પ્રેસ કોન્ફરન્સમાં વધુમાં જણાવાયું હતું કે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સામાન્ય નાગરિકોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. નેત્રંગ તાલુકાના સણકોઈ ગામમાં એક કાર્યકર્તા સામે ખોટી કાર્યવાહી કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ઝઘડિયા તાલુકાની નાઈટ્રિક્સ કેમિકલ કંપનીના કામદારોને તેમના હક્કોની માંગણી દરમિયાન પોલીસ દ્વારા ધમકી આપવામાં આવી હોવાની ઘટનાની પણ આમ આદમી પાર્ટીએ કડક શબ્દોમાં નિંદા કરી હતી. આમ આદમી પાર્ટીએ માંગ કરી છે કે ભરૂચ જિલ્લામાં ખુલ્લેઆમ દારૂ વેચાણ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે.ખોટી રીતે હેરાન કરનાર પોલીસ અધિકારીઓ સામે તપાસ થાય અને નાઈટ્રિક્સ કેમિકલના કામદારોને ન્યાય અપાવવામાં આવે. પાર્ટીએ ચેતવણી આપી હતી કે જો આ માંગણીઓ નહીં સંતોષાય તો લોકશાહી રીતે આંદોલન કરવામાં આવશે.
માણસાના ખડાતમાં LCBનો દરોડો:છાપરામાં લાકડા અને ઘઉંના ભુસા નીચે સંતાડેલો દારૂ જપ્ત, બે બૂટલેગર ફરાર
ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમે માણસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ખડાત ગામે દરોડો પાડ્યો હતો. એક રહેણાંક મકાનની બાજુમાં આવેલા છાપરામાંથી લાકડા અને ઘઉંના ભુસા નીચે સંતાડેલી 2 લાખ 47 હજારની કિંમતની અલગ-અલગ બ્રાન્ડની દારૂની 888 નંગ બોટલો જપ્ત કરી ફરાર બે બૂટલેગરો વિરુધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પેટ્રોલિંગ દરમિયાન દારૂની બાતમી મળીગાંધીનગરમાં ન્યૂ યરની ઉજવણી દરમ્યાન દારૂની રેલમછેલ રોકવા લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા જિલ્લામાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. જે અન્વયે એલસીબી પીઆઇ એચ.પી.પરમારની ટીમ માણસા પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, ખડાત ગામના ભારથરવાસમાં રહેતા શૈલેન્દ્રસિંહ જીતેન્દ્રસિંહ રાઠોડ અને મહેશસિંહ ઉર્ફે માલુભા નાથુસિંહ રાઠોડ પોતાના ઘરની બાજુમાં આવેલા કાચા છાપરામાં દારૂનો જથ્થો સંતાડી વેચાણ કરે છે. રેડમાં 21 પેટી દારૂ મળ્યોઆ બાતમીના આધારે એલસીબીએ ઉપરોક્ત સ્થળે પોલીસે ઓચિંતી રેઇડ કરી હતી. પોલીસની તપાસ દરમિયાન છાપરામાં લાકડાના ઢગલા પાછળ અને ઘઉંના ભુસાના પાર્સલો નીચે સિફતપૂર્વક સંતાડવામાં આવેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં અલગ અલગ બ્રાન્ડની કુલ 21 પેટીઓ (888 નંગ બોટલ) મળી આવી હતી. બન્ને બુટલેગરની પોલીસે શોધખોળ શરૂ કરીજોકે પોલીસ રેઇડ દરમિયાન બંને બૂટલેગરો શૈલેન્દ્રસિંહ અને મહેશસિંહ હાજર મળી આવ્યા ન હતા. પોલીસે રૂ .2.47 લાખનો દારૂનો તમામ મુદ્દામાલ કબ્જે કરી ફરાર આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
અમરેલી જિલ્લામાં સિંહની લટાર હવે નવી વાત નથી. દિન-પ્રતિદિન વનરાજની લટાર અને ગામમાં ઘૂસીને પશુઓનું મારણ હવે નિયમીત બની ગયું છે. ત્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદ અને ધારીના વધુ બે ઘટનાઓ સામે આવી છે. એકમાં સિંહ ગામમાં પ્રવેશીને ચાર પશુઓનું મારણ કરે છે, તો બીજામાં સિંહ પરિવાર રસ્તા પરથી પસાર થતા વાહનોના પૈડાં થંભી જતા જોવા મળે છે. કડીયાળી ગામે સિંહે 4 પશુનું મારણ કર્યુંપહેલી ઘટનાની વાત કરીએ તો જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે મોડી રાત્રે એક સિંહે ગામમાં પ્રવેશ કરી ચાર પશુઓનું મારણ કરે છે. પ્રાપ્ત માહિતી મુજબ, સિંહે કડીયાળી ગામના જુદા જુદા વિસ્તારોમાં ચાર પશુઓનો શિકાર કર્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં સિંહ ગામમાં પ્રવેશતો અને પશુઓનું મારણ કરતો સ્પષ્ટ દેખાય છે. ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતાનો માહોલકડીયાળી ગામમાં પણ અગાઉ ઘણી વખત સિંહો દ્વારા પશુઓનું મારણ કર્યાની ઘટનાઓ ઘટી ચૂકી છે. ગામના સરપંચ સહિતના આગેવાનોએ આ બાબતે વન વિભાગને અનેક વખત રજૂઆતો કરી છે. તેમ છતાં વન્ય પ્રાણીઓ ગામની ગલીઓમાં ઘૂસીને પશુઓનું મારણ કરી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે ખેડૂતો અને પશુપાલકોમાં ભારે ચિંતા પ્રવર્તી રહી છે અને તેઓ સુરક્ષા પગલાંની માંગ કરી રહ્યા છે. સિંહ પરિવારે રસ્તો ક્રોસ કરતાં વાહનોના પૈડાં થંભી ગયાપહેલી ઘટનાની વાત કરીએ તો ધારી તાલુકાના વાઘવડી ગામે મોડી રાત્રે સિંહ પરિવારનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં બચ્ચા અને સિંહણ સહિત 15 સિંહોનું એક મોટું જૂથ ગામના રસ્તા પરથી પસાર થતું જોવા મળે છે. આ દરમિયાન વાહનોના પૈડાં થંભી જાય છે. આ વિસ્તારમાં સિંહોનું ગ્રુપ કેમેરામાં કેદ થયું હોય તેવી આ પ્રથમ ઘટના નથી. અગાઉ પણ આવા દ્રશ્યો સામે આવી ચૂક્યા છે. અમરેલી જિલ્લામાં સિંહ અને સિંહણની લટાર અવારનવાર જોવા મળે છે. વન્યપ્રાણીઓએ પશુઓનો શિકાર કર્યો હોય તેમજ બાળકો પર હુમલો કર્યો હોય એવી ઘટનાઓ પણ સતત સામે આવે છે. ત્યારે આવો... આવી જ કેટલીક ઘટનાઓ જોઈએ ગાયનું ટોળું પાછળ પડતા સાવજો ઊભી પૂંછડીએ ભાગ્યા: VIDEO આઠેક દિવસ અગાઉ રાજુલાના મોટા અગરિયા અને કોવાયા ગામના બે વીડિયો સામે હતા. એક વીડિયોમાં ગાયોનું ટોળુ પાછળ પડતા સાવજોને શિકાર કર્યા વગર ઊભી પૂંછડીએ ભાગતા નજરે પડ્યા હતા. જ્યારે બીજા વીડિયોમાં ગલુડિયાનો શિકાર સામે હોવા છતા વનરાજ તેને પંપાળીને જવા દેતા નજરે પડ્યા હતા. બંને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો... જાફરાબાદમાં વાછરડાએ શિકારી સિંહને દોડાવ્યો વિશેક દિવસ અગાઉ જાફરાબાદના સરોવડા ગામમાંથી સિંહ અને વાછરડાંની ફાઇટના સીસીટીવી સામે આવ્યા હતા, જેમાં ગામમાં શિકાર કરવા આવેલા બે સિંહોને બે વાછરડાંએ હિંમત બતાવીને ઊભી પૂંછડીએ ભગાડી દીધા હોવાનાં દૃશ્યો જોવા મળે છે. સામે આવેલા સીસીટીવીમાં જોવા મળે છે કે સરોવડા ગામમાં મધરાતે બે સિંહો શિકારની શોધમાં ભટકી રહ્યા છે. આ દરમિયાન બે વાછરડાં જોવા મળતાં એક સિંહ એક વાછરડા પાછળ દોટ મૂકે છે. આ દરમિયાન બીજો સિંહ પણ પાછળ જાય છે, જોકે બીજો સિંહ થોડે આગળ જઇને પાછો ફરે છે. બીજો સિંહ કંઇ સમજે એ પહેલાં વાછરડાએ હડી કાઢીસીસીટીવીમાં જોવા મળે છે કે પરત આવેલો સિંહ વાછરડાનો શિકાર કરે એ પહેલાં જ અહીં ઊભેલું વાછરડું એકદમ હડી મૂકીને સિંહ કંઇ સમજે એ પહેલાં જ હુમલો કરી દે છે. આ દરમિયાન ગભરાયેલો સિંહ ઊભી પૂંછડીએ ભાગે છે. આ દરમિયાન આગળ ગયેલો સિંહ પણ પોતાનો શિકાર પડતો મૂકીને ભાગી જાય છે. આમ, બંને વાછરડાં હિંમત દેખાડતાં બંને સિંહોને શિકાર કર્યા વગર જ ગામ મૂકીને ભાગવું પડે છે. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો... અમરેલીમાં સિંહણે 5 વર્ષના બાળકને ફાડી ખાધું એકાદ મહિના અગાઉ અમરેલી જિલ્લામાં સિંહણે બાળક પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. બગસરા તાલુકાના હામાપુર ગામ નજીક રમેશ સોજીત્રાની વાડીમાં ભાગિયા તરીકે કામ કરતા પરપ્રાંતીય મજૂર પરિવારના 5 વર્ષના બાળક કનક વિનોદભાઈ ડામોરનો સિંહણે શિકાર કર્યો હતો. બાળકનો પેટનો ભાગ, હાથ-કાનને ફાડી ખાંધાબાળક વાડીમાં પાણીની કુંડી પાસે રમી રહ્યું હતું ત્યારે એક સિંહણ ત્યાં આવી પહોંચી હતી. સિંહણે બાળકને દબોચી લીધું અને તેને આશરે 70થી 80 ફૂટ દૂર તુવેરના પાકમાં ઢસડી ગઈ હતી, જ્યાં તેણે બાળકનો શિકાર કર્યો હતો, જેથી બાળકનું મોત થયું હતું. સ્થાનિક રમેશભાઈએ જણાવ્યું હતું કે અમારે ત્યાં વાડીએથી બાળકને સિંહણ ઉપાડી ગઈ હતી. બાળકના પેટનો ભાગ, એક હાથ તેમજ કાનના ભાગને ફાડી ખાધો હતો. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો... અમરેલીમાં વન્યપ્રાણીએ હુમલો કરતાં 10 ઘેટાંનાં મોત એકાદ મહિના પહેલાં અમરેલીના વડેરા ગામમાં વન્યપ્રાણીએ પશુપાલકના વાડામાં હુમલો કરતાં 10 ઘેટાંનાં મોત થયાં હતાં, જેના કારણે માલધારી પરિવારને આશરે 1 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. હુમલા દરમિયાન બે ઘેટાંનું મારણ કરવામાં આવ્યું હતું, જ્યારે અન્ય ઘેટાં ભય અને ગભરાટને કારણે જીવ ગુમાવી બેઠાં હતાં. અહીં ક્લિક કરીને આ સમાચારને વિસ્તારથી વાંચો સાવરકુંડલાના થોરડીમાં સિંહે બાળકને ફાડી ખાધં, માત્ર ખોપરી હાથ લાગીએક વર્ષ પહેલાં સાવરકુંડલાના થોરડી અને રાજુલાની બોર્ડર વિસ્તારમાં એક 5 વર્ષના બાળકને સિંહે વાડીથી 200 મીટર દૂર ઝાડીમાં ઢસડી જઈને શિકાર બનાવ્યો હતો અને ફાડી ખાધું હતું. વન વિભાગે સિંહને ટ્રેન્ક્યુલાઈઝર દ્વારા નિષ્ક્રિય કરીને ગણતરીના કલાકમાં પાંજરે પૂરવામાં સફળતા મળી છે. અહીં ક્લિક કરીને આ સમાચારને વિસ્તારથી વાંચો સાવરકુંડલાના ખાલપર-હઠીલામાં સિંહના હુમલાથી એક વ્યક્તિનું મોતનવેક મહિના પહેલાં અમરેલીના સાવરકુંડલા તાલુકાના ખાલપર-હઠીલાના સીમ વિસ્તારમાં સિંહે હુમલો કરતાં એક વ્યક્તિનું મોત થયું હતું. ખેતરમાં ક્ષતવિક્ષત હાલતમાં લાશ મળી હતી. અહીં ક્લિક કરીને આ સમાચારને વિસ્તારથી વાંચો
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય ચકાસણી કાર્યક્રમ અંતર્ગત 90થી વધુ આંગણવાડી અને સ્કૂલના 2.90 લાખથી વધુ બાળકોના હેલ્થનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોગ્ય વિભાગના પ્રાથમિક ચેકઅપ દરમિયાન રાજકોટના 164 ભુલકાઓને હાર્ટ, 43ને કિડની, 6ને લીવર અને 31ને કેન્સરની બીમારી હોવાની વિગતો બહાર આવી છે. તમામ શંકાસ્પદ દર્દીને સારવાર અર્થે રાજકોટ અને વધુ જરૂર જણાય તો અમદાવાદ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મનપાના આરોગ્ય વિભાગની આ કામગીરી 1 એપ્રિલ 2025થી 23 ડિસેમ્બર 2025 સુધીના આંકડા છે. આંગણવાડીમાં બાળકોના હેલ્થ ચેકઅપ કામગીરી કરવામાં આવીરાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણીએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે એટલે કે 1 એપ્રિલ 2025થી 23 ડિસેમ્બર 2025 સુધી આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમ દ્વારા 90 જેટલી આંગણવાડીમાં બાળકોના હેલ્થ ચેકઅપ કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન કુલ 270થી વધુ બાળકોના સ્વાસ્થ્યમાં શંકાસ્પદ રીતે જુદી જુદી બીમારીઓ જોવા મળી છે. આ પ્રાથમિક રિપોર્ટ બાદ તેમને ફર્ધર ટ્રીટમેન્ટ માટે રાજકોટની તેમજ વધુ જરૂર જણાય તો અમદાવદ હોસ્પિટલ સારવાર માટે સુવિધા આપવામાં આવતી હોય છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરમાં હાર્ટ એટેકથી મૃત્યુની સંખ્યામાં ખૂબ જ વધારો થઇ રહ્યો છે. તેવામાં બાળકોના હેલ્થ ચેકઅપ દરમિયાન પણ સામે આવેલી વિગતો પણ ચિંતાજનક સાબિત થઇ રહી છે. આ માટે આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને જંકફૂડ જેવા ખોરાકથી દૂર રાખવા અને પૌષિટક આહાર આપવા અપીલ કરવામાં આવી છે.
આવતીકાલે એટલે કે, 28 ડિસેમ્બરે ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અમદાવાદમાં સવારે IMA ગુજરાત બ્રાન્ચ દ્વારા આયોજિત રાષ્ટ્રીય કોન્ફરન્સમાં હાજરી આપશે. બપોરના આઈકોનિક SG હાઈવેના પ્રથમ તબક્કાના પાઈલટ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. જે બાદ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત યુવા બિઝનેસ મડાસંમેલન-2025નો ઉદઘાટન કરી અને છેલ્લે સંસ્કાર ધામ અમદાવાદ આયોજિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જીવન પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ નમોત્સવમાં હાજર રહેશે. દિવસભર અમદાવાદમાં સાત અલગ-અલગ કાર્યક્રોમોમાં હાજર રહેશે. વિશ્વ ઉમિયા ધામના કાર્યક્રમમાં CM સહિતના પાટીદારો ઉપસ્થિત રહેશેવિશ્વ ઉમિયા ધામ ખાતે યોજાનાર યુવા બિઝનેસ મહાસંમેલનને લઈ તડામર તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાત ભરમાંથી અંદાજે 20 હજારથી વધુ યુવા બિઝનેસમેન આ મહાસંમેલનમાં ભાગ લેશે. માત્ર ગુજરાત જ નહીં, પરંતુ અમેરિકા, કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને દુબઈથી પણ પાટીદાર બિઝનેસમેન આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ મહાસંમેલનમાં મુખ્યમંત્રી સહિત રાજ્ય સરકારના પાટીદાર મંત્રીઓ અને ધારાસભ્યો પણ હાજર રહેશે. ઉદ્યોગ, વેપાર અને સ્ટાર્ટઅપ્સને લગતા વિષયો પર માર્ગદર્શનયુવા ઉદ્યોગકારોને માર્ગદર્શન અને પ્રેરણા આપવા માટે આ મહાસંમેલન મહત્વપૂર્ણ બની રહેશે. કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી સહિત પાટીદાર સમાજના મંત્રીઓ અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે. મહાસંમેલન દરમિયાન ઉદ્યોગ, વેપાર અને સ્ટાર્ટઅપ્સને લગતા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે. વિશ્વ ઉમિયા ધામ ખાતે યોજાનાર આ યુવા બિઝનેસ મહાસંમેલન ગુજરાતના યુવા ઉદ્યોગકારો માટે નવી દિશા અને નવી તકો લઈને આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગાંધીનગરના નજીક આવેલા વાવોલ ગામની સરકારી શાળામાં શિસ્તના નામે માનવતા નેવે મૂકાઈ હોય એવી ઘટના સામે આવી છે. શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને સામૂહિક રીતે ઢોરમાર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે વાલીઓએ શાળા પરિસરમાં ભારે હોબાળો મચાવ્યો હતો. આચાર્યની આ જોહુકમી અને ત્યારબાદ શિક્ષકોના ઉદ્ધત વર્તનને પગલે વાલીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે અને તાત્કાલિક આચર્યને સસ્પેન્ડ કરી કડક પગલા ભરવાની વાલીઓએ માગ કરી છે. શાળાના કોઈ વિદ્યાર્થી દ્વારા અજાણતા આચાર્યની ખાનગી ગાડીનો કાચ તૂટી ગયોગાંધીનગરના વાવોલની સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને આચાર્ય દ્વારા માર મારવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. શાળાના કોઈ વિદ્યાર્થી દ્વારા અજાણતા આચાર્યની ખાનગી ગાડીનો કાચ તૂટી ગયો હતો. આ બાબતથી આચાર્ય એટલા રોષે ભરાયા હતા કે તેમણે કયા વિદ્યાર્થીએ કાચ તોડ્યો છે તે શોધવાને બદલે ત્રણ અલગ-અલગ વર્ગના તમામ વિદ્યાર્થીઓને એકત્ર કરી માર માર્યો હોવાનો આક્ષેપ વાલીઓ ધ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને ઢોરમાર મારી આચાર્ય રજા પર ઊતરી ગયાવાલીઓના કહેવા મુજબ આચાર્યએ પિત્તો ગુમાવીને નિર્દોષ બાળકોને બેરહેમીપૂર્વક માર માર્યો હતો. જેના કારણે અનેક બાળકોના શરીર પર આંગળા ઉઠી આવ્યા હતા અને બાળકો ફફડી ઉઠ્યા હતા. આ ઘટનાના પગલે આજે વાલીઓ શાળાએ પહોંચી ગયા હતા પરંતુ, પોતાની ભૂલ સ્વીકારવાને બદલે અથવા વાલીઓને જવાબ આપવાને બદલે આચાર્ય રજા પર ઉતરી ગયા હોવાનું સામે આવ્યું હતું. શાળાના પટાંગણમાં કલાકો સુધી હોબાળો ચાલ્યોશાળાએ પહોંચેલા વાલીઓએ જ્યારે અન્ય શિક્ષકો પાસે આ બાબતે ખુલાસો માંગ્યો, ત્યારે ત્યાં હાજર સ્ટાફે જવાબદારી સ્વીકારવાને બદલે વાલીઓ સાથે ગેરવર્તણૂક કરી હોવાના આક્ષેપ થયા છે. વાલીઓનો આરોપ છે કે, શિક્ષકો અમને યોગ્ય જવાબ આપવાને બદલે ઉદ્ધતાઈપૂર્વક વાત કરી રહ્યા છે અને આચાર્યના બચાવમાં ઉતર્યા છે. શાળાના પટાંગણમાં કલાકો સુધી ચાલેલા આ હોબાળાને કારણે અભ્યાસ કાર્ય ખોરવાયું હતું. શિક્ષકોને પૂછપરછ કરતા કોઈ જવાબ આપવા તૈયાર નથીઆ અંગે એક વિધાર્થીના વાલી રાજુભાઈ નાડિયાએ કહ્યું કે,કાલે મને ખબર પડી કે આ રીતે મારા છોકરાને વગાડ્યું છે એટલે હું આજે સ્કૂલમાં આવ્યો છું. શિક્ષકોને પૂછપરછ કરી પણ શિક્ષકો કોઈ સાચો અને વ્યવસ્થિત જવાબ આપતા નથી. મારા છોકરાને એટલા માટે મારવામાં આવ્યો કે ઉપરથી કોઈ છોકરાએ પથ્થર માર્યો હશે અને ગાડીનો કાચ તૂટ્યો હશે. આ ઘટનાને પગલે પ્રિન્સિપાલ સાહેબે ધોરણ 6, 7 અને 8 ના ત્રણેય વર્ગના છોકરાઓને ભેગા કરીને માર માર્યો છે. ખૂબ જ બેરહેમીપૂર્વક બાળકોને મારવામાં આવ્યા છે. આવું કૃત્ય તો કોઈ તાલિબાની પણ ન કરી શકે એવી રીતે બાળકોને માર્યા છે. ખરેખર સરકારે આ બાબતે યોગ્ય અને કડક પગલાં લેવા જોઈએ. મારો દીકરો એટલો ડરી ગયો હતો કે, આજે સ્કૂલે જવા પણ તૈયાર નહોતોજ્યારે અન્ય એક વાલી સોલંકી આનંદીબેને કહ્યું કે, મારો છોકરો અહીંયા ધોરણ-7માં અભ્યાસ કરે છે. કાલે સાંજે પ્રિન્સિપાલની ગાડી અહીં પડી હતી અને કોઈ છોકરાએ પતંગ માટે પથ્થર માર્યો હશે જેનાથી ગાડીનો કાચ તૂટી ગયો.આ વાત પર પ્રિન્સિપાલ એટલા ગુસ્સે થઈ ગયા કે તેમણે ધોરણ-6થી 8ના તમામ બાળકોને લોબીમાં ઉભા રાખીને ઢોર માર માર્યો છે. મારા બાબાને પણ વાગ્યું છે અને તે એટલો ડરી ગયો હતો કે, આજે સ્કૂલે આવવા પણ તૈયાર નહોતો પણ અમે મહામુસીબતે તેને મોકલ્યો છે. વાત ઘરે કરશો તો તમારું નામ કમી કરી દઈશું એવી ધમકી અપાયાના પણ આક્ષેપશાળાના બહેનોએ બાળકોને એવી પણ ધમકી આપી છે કે, જો આ વાત ઘરે કરશો તો તમારું નામ કમી કરી દઈશું.અને સર્ટિફિકેટ આપીને ઘરે વળાવી દઈશું. અમે જ્યારે પ્રિન્સિપાલ વિશે પૂછ્યું તો અન્ય સ્ટાફે કહ્યું કે સાહેબને છાતીમાં દુખાવો ઉપડ્યો છે એટલે તેઓ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે. અમને તો ન્યાય જોઈએ ઉલ્લેખનીય છેકે,બાળકોને શારીરિક સજા કરવી એ કાયદેસરનો ગુનો છે. તેમ છતાં સરકારી શાળામાં આ રીતે માસૂમ બાળકો પર અત્યાચાર ગુજારવામાં આવતા શિક્ષણ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. વાલીઓએ માંગ કરી છે કે આવા અત્યાચારી આચાર્યને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. વાલીઓ આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી બાળકોને શાળાએ ન મોકલવાની ચીમકી પણ કેટલાક વાલીઓએ ઉચ્ચારી છે.
નવસારી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ દેસાઈએ ધારાસભ્ય અનંત પટેલને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે સંગઠનની નબળી કામગીરી અને વ્યક્તિગત કિન્નાખોરી સામે ગંભીર રોષ વ્યક્ત કર્યો છે. દેસાઈએ આક્ષેપ કર્યો છે કે જિલ્લામાં સંગઠનની સમજ વગરના લોકોને હોદ્દાઓ સોંપવામાં આવ્યા છે અને પક્ષના પાયાના કાર્યકરોની અવગણના થઈ રહી છે. પત્રમાં સિદ્ધાર્થ દેસાઈએ જણાવ્યું છે કે, તેમણે હંમેશા પક્ષને મજબૂત કરવા માટે તન-મન-ધનથી મહેનત કરી છે. જોકે, હાલના કારભારીઓને તેમની જરૂર હોય તેવું જણાતું નથી. તેમણે ગંભીર આક્ષેપ કરતા લખ્યું કે, બ્લોક પ્રમુખો કાર્યકરોને એવું કહે છે કે તેમને કાર્યક્રમોમાં બોલાવવાની ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખે ના પાડી છે. દેસાઈએ સ્થાનિક પ્રશ્નો પણ ઉઠાવ્યા છે. જેમાં ખૂંધ ગામે થયેલ મર્ડર, સાદકપોર સરપંચ સામેની દરખાસ્ત અને આવાસ યોજનામાં ભાજપ સાથેની કથિત સાંઠગાંઠ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ મુદ્દાઓ દ્વારા તેમણે પક્ષની બગડતી છબી અંગે ચિંતા વ્યક્ત કરી છે. પૂર્વ પ્રમુખે એમ પણ જણાવ્યું કે મોવડી મંડળ માત્ર ધારાસભ્યોનું જ સાંભળે છે, જે પક્ષના પતનનું કારણ બની શકે છે. આ પત્રઘાતને પગલે નવસારી કોંગ્રેસના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. છેલ્લા કેટલાક સમયથી નવસારી કોંગ્રેસનું રાજકારણ આંતરિક વિખવાદ અને જૂથવાદથી પ્રેરિત હોય તેવું લાગી રહ્યું છે. પત્રમાં સંગઠનની જવાબદારી મજબૂત કરી યોગ્ય નિર્ણય લેવાય તેવી પણ ભલામણ કરવામાં આવી છે.
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નાના વિસાવદર ગામ નજીક ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ મોડી રાત્રે દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 1.04 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દારૂનું કટિંગ કરી વિતરણ થાય તે પહેલા જ SMC ત્રાટકી SMC ટીમે ટ્રક અને અન્ય વાહનો દ્વારા દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું ત્યારે રેડ કરી હતી, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. સ્થળ પરથી 12,726 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 59,64,390 છે. આ ઉપરાંત, મહિન્દ્રા પીકઅપ (GJ 32T2199, GJ10TV9512), ટ્રક (GJ03BZ0181) અને એક બાઇક સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. 1 ઝડપાયો, 16 આરોપી ફરારઆ દરોડા દરમિયાન ગારીયાધારના તનવીર નસીરહુસેન નામના એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. જોકે, મુસીમ તેલી, સોહેલ સૈયદ સહિત વાહન માલિકો, ડ્રાઇવરો અને અન્ય અજાણ્યા માણસો મળી કુલ 16 આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા હતા. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે. જપ્ત કરાયેલો કુલ રૂ. 1,04,69,390 નો મુદ્દામાલ ખાંભા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. દારૂ ક્યાંથી લવાયો હતો એ અંગે તપાસ ચાલુ31 ડિસેમ્બર નજીક હોવાથી બુટલેગરો સૌરાષ્ટ્રમાં દારૂ ઘુસાડવા સક્રિય બન્યા છે ત્યારે આ મોટો જથ્થો ઝડપાયો છે. આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કયા જિલ્લાઓ, શહેરો કે ગામડાઓમાં પહોંચાડવાનો હતો તે અંગે તપાસ ચાલી રહી છે. સ્થાનિક પોલીસની ભૂમિકા પર સવાલસ્ટેટ મોનિટરિંગ સેલના આ દરોડાથી ખાંભા પોલીસમાં સન્નાટો વ્યાપી ગયો છે. સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાતા અનેક સવાલો ઉભા થયા છે. આગામી દિવસોમાં પોલીસ ઉચ્ચ કક્ષાએથી કાર્યવાહી થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, આશરે 15 દિવસ પહેલા પણ બાબરા પંથકમાંથી દારૂ ભરેલું એક કન્ટેનર SMC ટીમે દરોડો પાડી ઝડપી પાડ્યું હતું.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે એસ.જી. હાઇ-વે પર આવેલા ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં આંગણવાડીના નાના બાળકો સાથે સમય વિતાવીને બાળકો જેવી મસ્તી કરી હતી. મુખ્યમંત્રીએ બાળકો સાથે ટોય ટ્રેનમાં રાઈડ લીધી, તેમની કવિતાઓ અને બાળગીતો સાંભળ્યા અને છેલ્લે રમકડાં વહેંચીને બાળકોના ચહેરા પર હાસ્ય ખીલવ્યું હતું. આ કાર્યક્રમમાં CM અધિકારીઓ સાથે હળવી મજાક કરતા પણ નજરે પડ્યા હતા, જેનાથી ફન બ્લાસ્ટમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. CM આવ્યા ત્યારે બાળકોએ બે હાથ ઊંચા કરી સ્વાગત કર્યુંરાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 27 ડિસેમ્બરના રોજ સવારે 10 વાગ્યે અમદાવાદના એસ.જી. હાઇ-વે ખાતે આવેલા ફન બ્લાસ્ટમાં પહોંચ્યા હતા. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવતા તમામ વિધાનસભાના આંગણવાડીના બાળકો દર શનિવારે એસ.જી. હાઇ-વે અને સિંધુભવન રોડ પર આવેલા ફન બ્લાસ્ટ ખાતે ગેમ ઝોનમાં રમત રમવા માટે અને મજા કરવા માટે આવતા હોય છે ત્યારે આજે નાના બાળકોની સાથે સમય વિતાવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. ફન બ્લાસ્ટ ખાતે પહોંચ્યા ત્યારે નાના બાળકો દ્વારા બે હાથ ઊંચા કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ફન બ્લાસ્ટ ગેમ ઝોન ખાતે જમ્પિંગથી લઈને નાની રમતોમાં મુખ્યમંત્રી સાથે રહ્યા હતા અને બાળકોને ખૂબ મજા કરાવી હતી ટ્રેનમાં બેસીને મુખ્યમંત્રીએ નાના બાળકની જેમ રમતનો આનંદ માણ્યો ફન બ્લાસ્ટમાં CM આજે આંગણવાડીના બાળકો સાથે સમય વીતાવવા પહોંચ્યા હતા. અહીં CM બાળકો સાથે અનેક પ્રકારની એક્ટિવિટીઓમાં જોડાયા હતા. ક્યાંક ટ્રેનમાં બેસીને મુખ્યમંત્રીએ નાના બાળકની જેમ રમતનો આનંદ માણ્યો તો ક્યાંક અધિકારીઓ સાથે બાળક બની બનીને હળવી મજાક કરી. આ બધાની વચ્ચે બાળકોએ તૈયાર કરેલી સુંદર કવિતાઓ પણ મંત્રમુગ્ધ થઈને CM સાંભળી રહ્યા હતા. જાણે પોતે પણ આ બાળકો સાથે બાળક બની ગયા હોય એવી અનુભૂતિ થઈ. દર શનિવારે આંગણવાડીની 4થી 5 બસો ફન બ્લાસ્ટ ગેમ ઝોન આવે છેફન બ્લાસ્ટના સંચાલક મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવેલી તમામ વિધાનસભાના બાળકો દર શનિવારે વિવિધ આંગણવાડીની 4થી 5 બસો ફન બ્લાસ્ટ ગેમ ઝોન ખાતે આવે છે, જ્યાં નાના બાળકોને સવારે 9:00થી 11 વાગ્યા સુધી તમામ રાઈડમાં રમતો રમવા દેવામાં આવે છે. આ રમતોની સાથે બાળકોને નાસ્તો પણ આપવામાં આવે છે. સાથે-સાથે રમકડાઓનું વિતરણ પણ કરાવવામાં આવે છે. આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખાતે આવ્યા હતા અને તેઓ દ્વારા બાળકો સાથે મજા માણી અને રમકડા વિતરણ કરવામાં આવ્યું હતું. આજે CM પણ કાર્યક્રમમાં બાળકો સાથે હાજર રહ્યા હતાસહકારી આગેવાન બિપિન પટેલ (ગોતા)એ જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના મત વિસ્તાર ગાંધીનગર લોકસભામાં દર શનિવારે તેમના મતવિસ્તારની આંગણવાડીના બાળકો આવતા હોય છે અને મજા માણતા હોય છે. આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ આજે આ કાર્યક્રમમાં બાળકો સાથે ઉપસ્થિત રહ્યા હતા. બાળકો દ્વારા કવિતાઓ અને બાળગીત ગાવામાં આવ્યા હતામુખ્યમંત્રી આંગણવાડીના બાળકોની સાથે બેઠા હતા અને બાળકો દ્વારા કવિતાઓ અને બાળગીત ગાવામાં આવ્યા હતા, જે સાંભળીને તેઓ પણ ખુશ થઈ ગયા હતા. બાળકોને રમકડા વિતરણ પણ કરવામાં આવ્યું હતું. રમકડા વિતરણ કર્યા બાદ તેઓ બાળકો સાથે ટ્રેનમાં પણ બેઠા હતા. ટ્રેનમાં બેસીને મુખ્યમંત્રીએ નાના બાળકની જેમ રમતનો આનંદ માણ્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સવારે ફન બ્લાસ્ટમાં અંદાજે 50 મિનિટ જેટલો સમય નાના બાળકો સાથે પસાર કર્યો હતો.
બોટાદ શહેરમાં ૪૨મી વરિયા પ્રજાપતિ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ થયો છે. સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજના મૂળ વતન ગણાતા બોટાદને આ વર્ષે યજમાનપદ મળ્યું છે. આ ટુર્નામેન્ટ 26થી 28 ડિસેમ્બર સુધી ચાલશે. બોટાદ નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ ધર્મિષ્ઠાબેન જોટાણીયા અને સમાજના આગેવાનોના હસ્તે ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુંબઈ, નડિયાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર અને બોટાદ સહિત વિવિધ શહેરોમાંથી કુલ ૩૦ ટીમો ભાગ લઈ રહી છે. વરિયા પ્રજાપતિ સમાજ બોટાદ અને આસપાસના ચોવીસ ગામડાઓમાં વસે છે, જેના કારણે આ સમાજને ‘ચોવીસી પ્રજાપતિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આગામી ત્રણ દિવસ દરમિયાન એક જ સ્થળે તૈયાર કરવામાં આવેલા પાંચ ગ્રાઉન્ડ પર સતત મેચો યોજાશે. ટુર્નામેન્ટના શુભારંભ પ્રસંગે સમાજના આગેવાનો, મહાનુભાવો અને વરિષ્ઠ મુરબ્બીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજના મુરબ્બીઓ દ્વારા ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે અનુદાન પણ આપવામાં આવ્યું હતું. મેચોને નિહાળવા માટે વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, સુરત, મુંબઈ, ભાવનગર, નડિયાદ અને બોટાદથી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા અને ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે ધનુર્માસ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને પરંપરાગત વાઘાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો. મંદિરના ગર્ભગૃહને 'ગામડાની ઝાંખી' થીમ સાથે સજાવવામાં આવ્યું હતું. આ દિવ્ય શણગાર ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ પ્રસંગે મંગળા આરતી અને શણગાર આરતી ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થઈ હતી. મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞ અને હનુમાન ચાલીસાના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હજારો હરિભક્તોએ કષ્ટભંજનદેવના દર્શનનો લાભ લીધો હતો. દર્શનાર્થીઓએ મહાપ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો.
સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી નિભાવતા પોલીસ વિભાગ માટે આજે એક અત્યંત દુઃખદ દિવસ સાબિત થયો છે. હજીરા મરીન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જવાન સુખદેવ વસાવાનું ચાલુ ફરજ દરમિયાન અચાનક સંભવિત હાર્ટ-એટેક આવવાને કારણે નિધન થયું છે. સુખદેવભાઈ મરીન પોલીસ સ્ટેશનમાં પી.એસ.ઓ. (PSO) જેવી મહત્વની જવાબદારી સંભાળી રહ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર પોલીસ બેડામાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે અને એક નિષ્ઠાવાન જવાન ગુમાવ્યાનો સાથી કર્મચારીઓમાં જોવા મળી રહ્યો છે. પોલીસકર્મી એકાએક બેભાન થઈ ઢળી પડ્યાંઘટનાની વિગતો મુજબ, માટે 38 વર્ષના સુખદેવ વસાવા મરીન પોલીસ મથકમાં પોતાની રોજીંદી ફરજ પર હતા અને કામકાજ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેમની તબિયત લથડી હતી અને તેઓ બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા હતા. આ જોઈને પોલીસ સ્ટેશનમાં હાજર અન્ય સાથી કર્મચારીઓ તાત્કાલિક તેમની મદદે દોડી આવ્યા હતા. જવાનની ગંભીર હાલત જોતા જ સાથી પોલીસકર્મીઓ તેમને કોઈ પણ વિલંબ કર્યા વિના પોલીસ વાનમાં જ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. સારવાર મળે તે પહેલાં જ મોતકમનસીબે, કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે પહોંચતા જ ફરજ પરના તબીબોએ સુખદેવ વસાવાની તપાસ કરી હતી, પરંતુ હોસ્પિટલના ઉંબરે પગ મૂકે તે પહેલાં જ તેમનું મોત થઈ ચૂક્યું હતું. તબીબોએ તેમને મૃત જાહેર કરતા પોલીસ સ્ટેશનથી સાથે આવેલા કર્મચારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. એક ખડતલ અને હસમુખા સાથીદારનું આ રીતે અચાનક વિદાય લેવું તે સમગ્ર વિભાગ માટે આઘાતજનક સમાચાર બની રહ્યા હતા. હાર્ટ-એટેકથી મોત થયાનું અનુમાન પોલીસ જવાનના અચાનક નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતા તેમના પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા, જ્યાં ગમગીન દ્રશ્યો સર્જાયા હતા. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં ખસેડવામાં આવ્યો છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતના સત્તાવાર કારણની સ્પષ્ટતા થશે, જોકે પ્રાથમિક દ્રષ્ટિએ આ હાર્ટ-એટેક હોવાનું માનવામાં આવી રહ્યું છે. ચાલુ ફરજ પર જાન ગુમાવનાર આ જવાનની અંતિમ વિદાય વખતે પોલીસ વિભાગ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવે તેવી પણ શક્યતા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક છબરડો સામે આવ્યો છે. જેમાં બી.એડ.સેમેસ્ટર - 3ની પરીક્ષામાં ગાઈડન્સ એન્ડ કાઉન્સિલ વિષયના 35 માર્કના પેપરમાં 5 માર્કના MCQ પૂછ્યા હતા પરંતુ તેમાં પેપર સેટર જવાબો આપવાનું ભૂલી ગયા હતા. જેથી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા. જોકે બાદમાં વિદ્યાર્થીઓએ ફરિયાદ કરતા યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા એમસીક્યુના 4 ઓપ્શન આપવામાં આવ્યા હતા અને ભૂલ સુધારવામાં આવી હતી. આ પ્રકરણમાં હવે પરીક્ષા વિભાગ દ્વારા અધ્યાપકનો ખુલાસો પૂછવામાં આવશે અને ત્યારબાદ સજા અથવા દંડ ફટકારવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા હાલ B.Edની પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં 26 ડિસેમ્બરના શુક્રવારે ગાઈડન્સ એન્ડ કાઉન્સિલ વિષયનું પેપર લેવામાં આવ્યુ હતું. પેપર સ્ટાઇલ મુજબ પ્રશ્ન પેપરમાં પહેલા 5 MCQ પૂછવામાં આવતા હોય છે. પરંતુ પરીક્ષક દ્વારા MCQ ના જવાબ માટેના 4 ઓપ્શન આપવામાં આવ્યા ન હતા. આ પ્રકારની ભૂલ 5 માર્કના 5 MCQ માં કરવામાં આવી હતી. જોકે બાદમાં વિદ્યાર્થીઓની ફરિયાદ મળતા ભૂલ સુધારવામાં આવી હતી. B.Ed સેમેસ્ટર - 3 ની પરીક્ષામાં પરીક્ષક પેપર સ્ટાઇલ મુજબ MCQ ના જવાબ માટે 4 ઓપ્શન આપવાનું જ ભૂલી જતા પરીક્ષાર્થીઓએ ફરિયાદ કરી હતી. જેથી પરીક્ષા વિભાગે તાત્કાલિક પ્રશ્ન પેપર બદલીને મોકલતા 4000 જેટલા વિદ્યાર્થીઓને વધુ 15 મિનીટનો સમય ફાળવવામાં આવ્યો હતો. જોકે અમુક કોલેજોમાં વિદ્યાર્થીઓને વધારાનો સમય આપવામાં ન આવ્યો હોવાનું પણ સામે આવ્યુ છે. આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહનો સંપર્ક કરવામાં આવતા તેમને જણાવ્યું હતું કે, બી.એડ.સેમેસ્ટર 3 ની પરીક્ષામાં 5 માર્કના એમસીક્યુમાં જવાબો માટેના 4 ઓપ્શન આપવાનું ભુલાઈ ગયું હતુ. જે પેપર સેટરની ભૂલ હતી. જેથી તેનો કમિટી સમક્ષ ખુલાસો પૂછવામાં આવશે અને ત્યારબાદ સજા અથવા દંડ થશે.
જામનગરના ગુરુદ્વારા નજીક ચાલી રહેલી 'વીર બાળ દિવસ'ની ઉજવણીમાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા જોડાયા હતા. તેમણે ડોક્યુમેન્ટરી નિહાળી હતી અને સેલ્ફી પણ લીધી હતી. ત્યારબાદ, તેમણે ગુરુદ્વારામાં આયોજિત લંગર પ્રસાદમાં સેવા આપી હતી અને ભક્તો સાથે કતારમાં બેસીને પ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો. જામનગરમાં સુભાષ બ્રિજ નીચે ગુરુદ્વારા નજીક છેલ્લા એક સપ્તાહથી 'વીર બાળ દિવસ'ની ઉજવણી થઈ રહી છે. અહીં ગુરુ ગોવિંદસિંઘજીના સાહિબઝાદાઓના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવી રહી છે અને ચાર સાહિબઝાદાઓના કટઆઉટ્સ પણ મૂકવામાં આવ્યા છે. આ ઉજવણીના ચોથા દિવસે મંત્રી રિવાબા જાડેજા સાથે અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ, મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક જૂથના નેતા આશિષ જોષી સહિત શહેર ભાજપના અન્ય કોર્પોરેટરો અને હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. સર્વે મહાનુભાવોએ ડોક્યુમેન્ટરી નિહાળી અને વીર બાળકો સાથે સેલ્ફી લીધી હતી. મંત્રી રિવાબા સહિતના અગ્રણીઓએ સનાતન સંસ્કૃતિની રક્ષા કાજે ગુરુ ગોવિંદસિંઘજી અને તેમના સાહિબઝાદાઓના બલિદાનનો ઇતિહાસ જામનગરની જનતા સમક્ષ પ્રદર્શિત કરવા બદલ ગુરુદ્વારા કમિટીને અભિનંદન પાઠવ્યા હતા. જામનગર ગુરુદ્વારા કમિટી દ્વારા આ કાર્યક્રમ પ્રતિદિન ચાલુ રાખવામાં આવ્યો છે. આ ઉજવણી આગામી 28 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે, જેમાં દૂધની લંગર પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. કમિટી દ્વારા અન્ય શહેરીજનોને પણ આ ધાર્મિક અને પ્રેરણાદાયક કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
રાજ્યમાં મિશ્ર વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઈ હતી. નલિયામાં લઘુત્તમ તાપમાનમાં 1.7 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈને 11.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. નલિયા બાદ ડીસામાં 13.2 અને અમરેલીમાં 13.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં પણ 0.2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈને 15.1 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વહેલી સવારે હળવા ધુમ્મસની અસર જોવા મળી શકે છે, જે વિઝિબિલિટિમાં ઘટાડો થઈ શકે છે.

26 C