વેધર રિપોર્ટ:ઠંડી પોણો ડિગ્રી વધી 15 થઇ, આજથી હજુ વધશે
ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી હીમવર્ષા થઈ રહી છે. પહાડોમાં સર્જાયેલી આ સ્થિતિ વચ્ચે ઉત્તર ગુજરાતમાં મોટાભાગે ઉત્તર-પૂર્વ દિશાનો ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. સોમવારે કલાકે નીચા સ્તરના ઠંડા પવન ફૂંકાતા તાપમાનમાં પોણા બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. પરિણામે મુખ્ય પાંચ શહેરોમાં લઘુત્તમ તાપમાન 14.9 થી 16.5 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. તાપમાન 15 ડિગ્રીની નજીક પહોંચતાં વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, ઠંડા પવનનું જોર વધતાં સપ્તાહના અંત સુધીમાં ઠંડીમાં વધુ 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. તાપમાનમાં આ નોંધપાત્ર ઘટાડાના કારણે લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીથી નીચે પહોંચી શકે છે. ઉલ્લેખનીય છે કે, વર્તમાન સિઝનમાં અત્યાર સુધીમાં સૌથી નીચું 12.4 ડિગ્રી તાપમાન બે વખત નોંધાઈ ચૂક્યું છે.
ભાસ્કર લેટનાઇટ:જગુદણ નજીક ઓવરટેક કરવા જતાં લક્ઝરી બસ પલટતાં ચારને ઈજા
મહેસાણા-અમદાવાદ હાઈવે પર આવેલા જગુદણ નજીક સોમવારે મોડી રાત્રે 11:15 વાગ્યાના સુમારે અમદાવાદથી સાંચોર તરફ જઈ રહેલી લક્ઝરી બસ, ઓવરટેક કરવા જતાં અચાનક પલટી મારી ગઈ હતી. જે અકસ્માતમાં ત્રણથી ચાર મુસાફરોને ઈજાઓ થઈ હતી. જેમને મેવડ ટોલનાકાની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા. અકસ્માત સમયે મુસાફરો સૂઈ ગયેલા હતા.
ઈન્ડિયા-ન્યૂઝિલેન્ડ ઓડીઆઈ મેચને લઈ હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. 11 જાન્યુઆરી 2026એ કોટંબી સ્ટેડિયમમાં ધમાકેદાર મેચ રમાનાર છે. ત્યારે વડોદરા જિલ્લા પોલીસે સોમવારે સ્થળ નિરિક્ષણ કરીને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને સિક્યુરિટી તથા ટ્રાફિક મેનેજમેન્ટ અંગે જરૂરી મુદ્દા ધ્યાને લીધા હતા. સ્થળ નિરિક્ષણ કરીને પોલીસ દ્વારા આગામી મેચને લઈ સ્ટ્રેટજી બનાવવામાં આવશે. બંદોબસ્ત, ટ્રાફિક મેનેજમેન્ટ કેવી રીતે કરવું, ખેલાડીઓને ક્યાંથી લાવવા અને સુરક્ષિત ક્યાંથી લઈ જવા, પ્રેક્ષકો ક્યાંથી આવશે-ક્યાંથી બહાર જશે, વાહન પાર્કિંગ સહિતના મુદ્દે સ્ટેડિયમ સત્તાધીસો સાથે પોલીસ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા સ્ટેડિયમ આસપાસ પણ સિક્યુરિટી વધારવામાં આવશે. જેથી તેને લઈ પ્લાનિંગ શરૂ કરી દેવામાં આવ્યા છે. ત્યારે ઈન્ડિયા-ન્યૂઝિલેન્ડની ટીમ 7 જાન્યુઆરીએ વડોદરા પહોંચી જશે. જેથી તેઓ સતત ત્રણ દિવસ પ્રેક્ટિસ કરશે. આ પ્રેક્ટિસ દરમિયાન ખેલાડીઓની સિક્યુરિટી અંગે પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી. સ્ટેડિયમ સુધી પહોંચવા બે મુખ્ય માર્ગ પણ જોવામાં આવ્યા હતા. ત્યારે સ્ટેડિયમ પર શું સુવિધા છે, તેને પણ ધ્યાને લેવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં પોલીસ દ્વારા ફરી સ્થળ નિરિક્ષણ કરીને સુરક્ષાના મુદ્દે આખરી ઓપ આપશે. પ્રેક્ષકો શાંતિપૂર્વક મેચ નિહાળી શકે તેવું આયોજન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, તેમજ પ્રેક્ષકો શાંતિપૂર્વક રીતે મેચ નિહાળી શકે અને તેનો આણંદ માણી શકે. તેવું આયોજન કરાશે. પાર્કિંગ તેમજ ટ્રાફિક મેનેજમેન્ટ માટે ખાસ સૂચનો અપાયા હતા. > સુશીલ અગ્રવાલ, એસપી વડોદરા ગ્રામ્ય.
ઉગ્ર વિરોધ:મકરપુરા જીઆઇડીસીમાં દબાણ હટાવતાં વિરોધ, વેપારી જેસીબી આગળ સૂઈ જતાં ઉત્તેજના વ્યાપી
પાલિકાની દબાણ શાખાએ મકરપુરા જીઆઇડીસીમાં દબાણો હટાવવાના શરૂ કરતાં લારી ગલ્લાના વેપારીઓએ વિરોધ કર્યો હતો. ફેબ્રિકેશનના વેપારી જેસીબી મશીન આગળ સૂઈ જતાં ઉત્તેજના વ્યાપી હતી. મકરપુરા જીઆઇડીસીમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. રોડ લાઈનમાં આવતા દબાણો દૂર કરવાની કામગીરી દરમ્યાન લારી ગલ્લાના વેપારીઓમાં તંત્ર પ્રત્યે રોષ ફેલાયો હતો. રોડ પ્રોજેક્ટ અને વોર્ડની ટીમ દ્વારા કામગીરી શરૂ કરાતા જ ફેબ્રિકેસનના કારખાના બહાર જેસીબી લઈને પહોચતા વેપારીએ કામગીરી કરતા અટકાવ્યા હતા. કોર્ટ કેસ ચાલતો હોવા મુદ્દે વેપારીએ રજૂઆત કરી છતાં દબાણ શાખાની ટીમે જેસીબી મશીનથી કામગીરી શરૂ કરતાં જ વેપારી જેસીબી સામે સૂઈ જઈ વિરોધ કર્યો હતો. જોકે વિવાદના કારણે દબાણ શાખાએ કામગીરી પડતી મૂકી હતી. ભાસ્કર ઇનસાઇટપાલિકાએ અન્ય દબાણોનો ઉલ્લેખ કર્યો પણ મકરપુરાનો વિવાદ ભૂલાયોદબાણ શાખાની ટીમને શહેરના કમાટીબાગ ગેટથી કમિશનર ગેટ સુધી તેમજ રાત્રી બજાર પાસે મંગલ પાંડે રોડ પર દબાણો દૂર કર્યા હતા. તેવી જ રીતે અમિતનગર બ્રિજ નીચે મકરપુરા ડેપો પાસેથી પણ દબાણ હટાવ્યા હતા. ફતેગંજ વિસ્તારમાં અરવિંદ બાગથી ફ્રીડમ સર્કલ સુધી હરીનગર બ્રિજ નીચે શ્રમિકોને દૂર કરી સામાન જપ્ત કર્યો હતો. તદુપરાંત ભાયલી કેનાલ પાસે પાલિકાના પ્લોટમાંથી દબાણો હટાવ્યા હતા. જોકે મકરપુરા જીઆઇડીસીમાં રોડ લાઈનમાં આવતા દબાણો દૂર કરવા સમયે થયેલા વિવાદ અંગે પીઆરઓ વિભાગે આપેલી માહિતીમાં ઉલ્લેખ કરાયો ન હતો.
ભાયલીની સોપાન-55 કંન્સ્ટ્રક્શન સાઈટના બિલ્ડર જીત ઈસોટીયા દ્વારા 5 માસની બાળકી પર કાર ચઢાવી દઈ મોત નિપજાવતા તાલુકા પોલીસે બિલ્ડરની ધરપકડ કરી હતી. આ પહેલા કિશન ઈસોટીયાએ આ કાર ડ્રાઈવર ચલાવી રહ્યો હોવાની વાત જણાવી હતી. મહત્વનું છે કે, તાલુકા પોલીસે જીત જૈવંતભાઈ ઈસોટીયાને ધરપકડ કરી જામીન પર છોડી મુક્યો હતો. ભાયલીમાં સોપાન-55 સાઈટમાં વિનુભાઈ પણદા અને તેમની પત્નિ મજુરી કામ કરતા હતાં. શુક્રવારે તેઓ કામ કરતા હતા તેમની 5 મહિનાની બાળકી સુતી હતી અને તેમનો દીકરો તેને રમાડી રહ્યો હતો. બિલ્ડર દ્વારા ઈનોવા કાર 5 મહિનાની બાળકી પર ચઢાવી દિધી હતી. ગંભીર ઈજાગ્રસ્ત બાળકીને ળઈને ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલ લઈ જતા ડોક્ટરોએ બાળકીને મૃત જાહેર કરી હતી. આ પહેલા જ્યારે આ ઘટના બની ત્યારે બિલ્ડર પરીવારના કિશન ઈશોતિયાએ દાવો કર્યો હતો કે, કાર તેમના પિતાના નામે રજીસ્ટર છે અને તે સમયે કાર ડ્રાઈવર ચલાવી રહ્યો હતો. જોકે આ ઘટનામાં બિલ્ડરનો જામીન પર છુટકારો થયો હતો.
બેંકોમાંથી મોટી રકમની લોન લઈ વિદેશ ફરાર થવાના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે ફેક્ટરી માટે જરૂરી મશીનરી ખરીદવા માટે કરોડો રૂપિયાની લોન લીધા બાદ મશીનરી વેચી વિદેશ ભાગી ગયેલા સંચાલક ભરત શાહ ઝડપાયા છે. 22 વર્ષ બાદ પરત ફરતા લુકઆઉટ નોટિસના આધારે મુંબઈ એરપોર્ટ ઉપર ઝડપાયા હતા, જેને જે.પી. રોડ પોલીસે અત્રે લાવી જેલ ભેગો કર્યો છે. મનિષા ચાર રસ્તા પાસે આવેલા આનંદ કિરણ એપાર્ટમેન્ટમાં રહેતા ભરત નવનીતભાઈ શાહે વર્ષ 2004માં રાષ્ટ્રીય કૃત બેંકમાંથી લોન લીધી હતી. જેમાં ફેક્ટરી માટે મશીનરી ખરીદવા માટે કરોડો રૂપિયાની લોન લીધી હતી. જે પૈકી કેટલીક રકમ ચૂકવી હતી. ત્યારબાદ ભરત શાહ બેંકને જાણ કર્યાં વગર બારોબાર મશીનરી વેચી અમેરિકાના પેન્સિલવેનિયા ભાગી ગયા હતા. લાંબા સમય સુધી લોન ભરપાઈ ન કરવામાં આવતા બેંક દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી, જેનો કોઈ જવાબ નહીં આપવામાં આવતા બેંક દ્વારા કાર્યવાહીના ભાગરૂપે જે. પી.રોડ પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઈ હતી. તપાસ દરમિયાન ભરત શાહ દ્વારા લોન લેવા ખોટા દસ્તાવેજો રજૂ કરાયા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેમના નિવાસસ્થાને તપાસ કરી હતી. તે દરમિયાન ફેક્ટરી સંચાલક ભરત શાહ દેશ છોડી ફરાર થઈ ગયા હોવાનું બહાર આવ્યું હતું. પરિણામે પોલીસે લુકઆઉટ નોટિસ જારી કરી હતી. દરમિયાન તાજેતરમાં લોન ડિફોલ્ટર ભરત શાહ અમેરિકાથી પ્લેન દ્વારા મુંબઈ એરપોર્ટ પર આવ્યા હતા. જેમાં ઇમિગ્રેશન વિભાગે લુકઆઉટ નોટિસના આધારે ધરપકડ કરી હતી. જે.પી રોડ પોલીસે મુંબઈ જઈ કબ્જો મેળવ્યો હતો. અત્રે લાવી કોર્ટમાં રજૂ કરી જેલના હવાલે કરવામાં આવ્યા છે. ભાસ્કર ઇનસાઇડયોગ્ય તપાસ થાય તો ચોંકાવનારી માહિતી બહાર આવી શકે છેમોટી રકમની લોન લઈ વિદેશ ભાગી ગયેલો ભરત શાહ બીજા અનેક ડિફોલ્ટરો સાથે સંકળાયેલો હોવાનું બહાર આવ્યું છે. જે પોતે વિવાદિત એપેક્ષના સંઘવીના જમાઇ થાય છે. અને એપેક્ષમાં જે તે સમયે અન્ય વિવાદિત ડાયરેક્ટરોનો સમાવેશ થતો હતો. જે પૈકી કેટલાક અગાઉ પણ બેંક લોન કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. આ મામલાની વધુ તપાસ થાય તો ચોંકાવનારી માહિતી બહાર આવી શકે છે. ભરત શાહે લોન લેવા નકલી કાગળો બનાવતાં 2004માં ગુનો નોંધાયો હતોજે.પી.રોડ પોલીસ મથકના પીઆઈ એમ.એસ.સગરે જણાવ્યું છે કે, બેંકમાંથી મોટી રકમ લઈ વિદેશ ભાગી ગયેલા ભરત નવનીતલાલ શાહ અમેરિકાથી મુંબઈ પહોંચ્યો હતો. જ્યાં લુકઆઉટ એરપોર્ટ ઉપર ઝડપાયો હતો. તપાસ દરમિયાન લોન લેવા નકલી કાગળો બનાવી તેનો ઉપયોગ કરાયો હોવાનું બહાર આવ્યું હતું, જેના આધારે 2004માં ગુનો નોંધાયો હતો.
વિશ્વ ધ્યાન દિવસે 5 હજાર લોકોએ ધ્યાન શીખ્યું:આર્ટ ઓફ લિવિગના સેન્ટરમાં રોજ નિઃશુલ્ક ધ્યાન શિખવાડાશે
આર્ટ ઓફ લિવિંગના વિશ્વ ધ્યાન દિવસની ઉજવણીના ભાગરૂપે 21 ડિસેમ્બરે આધ્યાત્મિક શ્રી શ્રી રવિશંકરજી દ્વારા ન્યૂયોર્કથી લાઇવ વૈશ્વિક ધ્યાન કરવામાં આવ્યું હતું. આ અવસરે આર્ટ ઓફ લિવિંગ વડોદરા ચેપ્ટર દ્વારા સનફાર્મા રોડ પર આવેલ મુખ્ય કેન્દ્રનો પુનઃ આરંભ કરી નવા એક્સપિરિયન્સ સેન્ટરનું પણ ઉદ્ઘાટન કરાયું હતું. કેન્દ્ર પર વડોદરાના નાગરિકો નિઃશુલ્ક ધ્યાન સત્રોનો લાભ પણ લઈ શકશે. આ સેન્ટર દરરોજ સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. કાર્યક્રમમાં 300થી વધુ લોકોએ ધ્યાન કર્યું હતું. શાળાઓ, કોલેજો, જેલમાં ધ્યાન સત્રોમાં 5 હજાર લોકોએ ભાગ લીધો હતો.
રક્તદાન શિબિરનું આયોજન:સંત નિરંકારી મિશન દ્વારા રક્તદાન શિબિર, એસએસજીને કુલ 224 યુનિટ રક્ત અપાયું
રવિવારે નિરંકારી સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના આશિષ થકી સૌરાષ્ટ્ર્ જૈન ભવન, કલાલી વડસર રોડ, વડોદરા ખાતે સવારે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. સદગુરુ બાબા હરદેવસિંહજી મહારાજે એક નવી સેવા સંત નિરંકારી મિશનના સમાજ કલ્યાણ વિભાગની સાથે જોડીને સંદેશ આપ્યો કે ‘રક્ત નલિયો મેં નહિ પર નાડીયો મેં બહે’ અને 1986થી આ સેવા પ્રારંભ કરવામાં આવી હતી. આજે પુરા વિશ્વમાં નિરંકારી મિશન વર્ષમાં બે વખત રક્તદાન શિબિરોનું આયોજન કરે છે. રક્તદાન શિબિરમાં આમંત્રિત સર સયાજીરાવ જનરલ હોસ્પિટલના બ્લડ બેન્કના ઇન્ચાર્જ ડૉ. અવની તેમના સ્ટાફ સાથે ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાતાઓ થકી કુલ 224 યુનિટ રક્ત એકત્રિત કરી સયાજીરાવ જનરલ હોસ્પિટલ બ્લડ બેન્કને સુપરત કરવામાં આવ્યું હતું. નાગરિક સેવા સમિતિના સદસ્ય નિરંજનભાઈ હાજર રહ્યા હતા. સયાજી હોસ્પિટલની બ્લડ બેન્ક રક્તની ખોટનો અનુભવ કરી રહી છેહોસ્પિટલની બ્લડ બેન્કમાં રક્તની ખોટનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી દાન શિબિર ઓછા થઈ રહ્યા છે અને બીજી તરફ સયાજી હોસ્પિટલ મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ હોવાથી રક્તની જરૂરત પણ વધારે પડે છે. ત્યારે આ રક્તદાન શિબિરથી હોસ્પિટલને ખૂબ જ મોટો ફાયદો થશે.
ભાગવતજીનું રસપાન:જીવનના કાર્યોમાંથી પ્રેરણાઓનો અમલ કરવા 9 પ્રકારના ‘P’ છે: વ્રજરાજકુમારજી
નવલખી ગ્રાઉન્ડમાં વ્રજરાજકુમારજીના સ્વમુખે ભાગવતજીનું રસપાન કરવા ઉપસ્થિત લોકોએ માણ્યો હતો. જીવનના કાર્યોમાંથી મળતી પ્રેરણાઓને કેવી રીતે અમલીકરણ કરવું માટે નવ પ્રકારના ‘P’ આપેલા છે. પ્રેરણા, પ્રેમ, પરમાર્થ, પુરુષાર્થ, પરોપકાર, પ્રસન્નતા, પરિપક્વતા, પ્રતીક્ષા અને પ્રભુકૃપાથી આપણા જીવનને કૃતાર્થ કરીએ. પ્રેમ પણ એવો કે જે કર્તવ્યરૂપી પ્રેમ, ઠાકોરજી પ્રત્યેની નિષ્કામ પ્રેમ, નિસ્વાર્થ સેવા પ્રેમ અને આપણા લક્ષને પ્રેમ કરી જીવનમાં પુરુષાર્થ, દરેક પ્રત્યે પરોપકાર ભાવના અને હંમેશા પ્રસન્નતા યુક્ત જીવન શૈલી કરતા રહીએ. સાથે કથા મંડપમાં છેક છેલ્લે બેઠેલા વૈષ્ણવો ભક્તોની હાજરીને બિરદાવી હતી. ભાગવત ગ્રંથનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, શ્રીમદ્ ભાગવત ગ્રંથ એ પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ જ છે. આ કથામાં રાજકોટ લોકસભાના સાંસદ પુરુષોત્તમજી રૂપાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કથામાં સવારે બિઝનેસ એક્સપોમાં વક્તા દ્વારા ભારતીય ઉત્પાદન અને જીડીપી ઉપર વક્તવ્ય અપાયું હતું.
શહેરમાં લેઉવા પાટીદાર સમાજ દ્વારા પ્રથમ વખત છાણી ખાતે છાણી પાટીદાર સમાજ મહિલા સંગઠન યોજાવામાં આવ્યું હતું. જેનો મુખ્ય આશય સમાજની મહિલાઓને એકજૂથ કરવાનો અને સમાજની દીકરીઓ સમાજમાં લગ્ન કરે તેને પ્રોત્સાહન આપવાનો હોવાનું યુવા સંગઠનના હિતેશ પટેલે જણાવ્યું હતું. વિશ્વ ધ્યાન દિવસે યોજાયેલા આ કાર્યક્રમમાં 900 જેટલી મહિલાઓ એકત્ર થઇ હતી. કાર્યક્રમમાં સુરતના મોટીવેશનલ સ્પીકર ડો.અંકિતા મુલાણીએ પોતાનુ વક્તવ્ય દ્વારા યુવાન છોકરીઓને યોગ્ય લગ્ન માટે યોગ્ય કાળજી રાખવા અને માતાપિતાની સમજનો ઉપયોગ કરવા જણાવી હાલના સમયે થયેલા વાસ્તવિક કડવા અનુભવોના દ્રષ્ટાંત આપ્યા હતા. કાયર્ક્રમની સફળતાને પગલે હવે સમાજ દ્વારા પ્રતિવર્ષ આ કાર્યક્રમ યોજવાનો નિણર્ય કર્યો હતો. મોટીવેશનલ સ્પિકરે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, દુનિયામાં દરેક પુરુષ ચાર સ્ત્રી સામે ઝૂકે છે. માતા, બહેન, દીકરી અને પત્ની, પરંતુ આ ચારેય પુરુષને ઝૂકાવવાની ભાવનાથી નહીં પરંતુ તે સ્ત્રીમાં તેનું તત્વ હોય તો. ઉચ્ચ ડિગ્રી મેળવનાર દીકરીઓનું સન્માન કરાયુંસમાજના આ કાર્યક્રમમાં પ્રથમ વખત દીકરીઓને સન્માનિત કરવામાં આવી હતી. જેમાં ડોક્ટર, માસ્ટર્સ તેમજ હોટલ મેનેજમેન્ટ સહિતની ઉચ્ચ ડિગ્રી મેળવનાર 13 દીકરીઓને સન્માનિત કરવામાં આવી હતી. મહિલા સંગઠનની જરૂરિયાત કેમ પડી ?સમાજની મહિલાઓ સામાજિક પ્રસંગે એકબીજાને મળતી હોય છે, પરંતુ સમાજના કામ માટે એકબીજાને મળતા નથી. મોટી સંખ્યામાં મહિલાઓ એક જ સ્ટેજ ઉપર આવે અને એકબીજાનોે પરિચિત થાય ત્યારે સમાજ એક જૂથ થતો હોય છે અને મહિલા દ્વારા જ ઘર પરિવાર અને સમાજ એક જૂથ થાય છે. ત્યારે આ પહેલ શરૂ કરાઈ હતી. ભાસ્કર ઇનસાઇડલેઉવા પાટીદાર સમાજને ક્યા પ્રશ્નો સામે જાગૃતિ લાવવી છે
બેન્કર્સ ગ્રૂપ ઓફ હોસ્પિટલ દ્વારા 11માં વર્ષે વિન્ટર ક્લોથ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. સતત પ્રતિ વર્ષ કરવામાં આવી રહેલી આ સેવામાં આ વર્ષે પણ 500 જેટલા જરૂરિયાતમંદ બહેનોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડોદરાના બેંક ગ્રૂપ હોસ્પિટલ અને યસ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાદરા તાલુકાના જાસપુરના લકડી કુઈ અને દાજીપુરા સહિત ફતેપુરા ગામની બહેનોને લકડી કોઈ પ્રાથમિક શાળા ખાતે ગરમ ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા. બેન્કર્સ ગ્રૂપ ઓફ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડો. પારૂલ બેન્કર તથા ડો.દર્શન બેંકર દ્વારા દરેક વર્ષે શહેરની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં શૈક્ષણિક આરોગ્ય સેવાઓ અને સાથે સામાજિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે.
એમ.એસ.યુનિવર્સિટીની હોસ્ટેલમાં ગુપ્ત રીતે ફરીથી મેસની વાર્ષિક ફી ઉઘરાવાનો તખ્તો ગોઠવાયો છે. જોકે 2024માં થયેલું ઉગ્ર આંદોલન ફરીથી ન થાય તે માટે બેઠકો કરીને અમલ કરવાનો રસ્તો શોધી કાઢવામાં આવ્યો છે. હોસ્ટેલના વિદ્યાર્થીઓ સાથે બેઠક કરવામાં આવી હતી. જોકે તેમાં વિદ્યાર્થીઓએ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દિધી હોવાનું જાણવા મળ્યું છે. એમ.એસ.યુનિવર્સિટીમાં ચાલતી 16 જેટલી મેસમાં વાર્ષિક ધોરણે ફી ઉઘરાવવાનું ભૂત ફરીથી ધૂણ્યું છે. હોસ્ટેલના ચીફ વોર્ડન દ્વારા હોસ્ટેલના રીપ્રેસ્ટેટીવ વિદ્યાર્થીઓને બોલાવીને એક બેઠક કરવામાં આવી હતી. જેમાં મેસમાં એક સાથે વર્ષની ફી લેવા માટે વાત કરાઇ હતી. જેના માટે વિદ્યાર્થીઓ પાસે અભિપ્રાય માંગવામાં આવ્યા હતા. જોકે વિદ્યાર્થીઓ દ્વારા એક સાથે વાર્ષિક ફી નહિ ચૂકવી શકે તેવું જણાવ્યું હતું. કારણ કે મેસની વાર્ષિક ફી લેવામાં આવે તેમાં 10 મહિનાનો સમાવેશ થાય છે. દિવાળી વેકેશન અને ઉનાળું વેકેશન 2 મહિનાનો સમય આમાં સમાવેશ થતો નથી. મેસની વાર્ષિક ફીમાં બ્રેકફાસ્ટ અને ડીનરનો સમાવેશ થાય છે. વાર્ષિક ધોરણે ફી ઉઘારવવા માટે રચવામાં આવી રહેલો કારસાને વિદ્યાર્થીઓએ હાલ પૂરતો તો સફળ થવા દિધો નથી. વિદ્યાર્થીઓ બાદ તમામ હોસ્ટેલના વોર્ડનો સાથે બેઠક કરવામાં આવી હતી. જેમાં વોર્ડનોએ પણ આખા વર્ષની ફી માટે વિવાદ થાય તેવું કહ્યું હતું. જો એક મહિનો કે 3 મહિનાનો સમય હોય તો કદાચ વિદ્યાર્થીઓ હા પાડે તેવો મત વોર્ડનોએ વ્યકત કર્યો હતો. ચીફ વોર્ડન વિજય પરમારે આ મીટીંગ માત્ર નવા વર્ષમાં શું કરી શકાય તેના મુદ્દાની ચર્ચા માટે હતી. મેસમાં વાર્ષિકની ફી લેવા અંગે કોઇ ચર્ચા થઇ નથી. મેસ સર્વિસનો કેવી રીતે વધારો વિદ્યાર્થીઓ ઉપયોગ કરી શકે તેના પર ચર્ચા થઇ હતી. ભાસ્કર ઇનસાઇડગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઇઝનિંગ બાદ માનીતા કોન્ટ્રાકટરને ફાયદો કરાવવા વાર્ષિક ઇજારાની સત્તાધીશોની હિલચાલગર્લ્સ હોસ્ટેલમાં જુલાઇ મહિનામાં ફૂડ પોઇઝનીંગ ઘટના બાદ પણ સત્તાધીશો તેમના માનીતા કોન્ટ્રાકટરને ફાયદો કરાવવા વાર્ષિક ઇજારાની હિલચાલ શરૂ કરી છે. 2024માં પણ વીસીએ નક્કી કરેલા કોન્ટ્રાકટરને ફાયદો કરાવવા માટે દરેક મેસમાં વાર્ષિક કોન્ટ્રાક્ટ આપવા માટે સૂચના આપવામાં આવી હતી. મેસના ઇજારદારને ફાયદો કરાવવા માટે વાર્ષિક ધોરણે ફી ઉઘરાવાનું નક્કી કર્યું છે. 2024માં 24 હજાર મેસ ફી 7 હજાર હોસ્ટેલ ફી તથા 3 હજાર રૂપિયા ડિપોઝીટ નક્કી કરાઇ હતી. જોકે આ વખતે ફીનું માળખું જાહેર કરાયું નથી. જૂન 2024માં હોસ્ટેલમાં ફરજિયાત મેસની ફી મુદ્દે 400 વિદ્યાર્થીઓએ વીસીના બંગ્લામાં હલ્લાબોલ કર્યો હતોતત્કાલીન વીસી વિજય શ્રીવાસ્તવના સમયગાળામાં જૂન 2024માં ફરજિયાત હોસ્ટેલમાં મેસની ફીનો અમલ કરવામાં આવ્યો હતો. જેના પગલે ભારે હોબાળો મચી ગયો હતો અને 400 જેટલા વિદ્યાર્થીઓ વીસીના બંગ્લામાં ઘૂસી ગયા હતા અને હલ્લાબોલ કર્યો હતો. જેના કારણે વિદ્યાર્થીઓ સામે રાયોટિંગનો ગુન્હો પણ નોંધવામાં આવ્યો હતો. જોકે વિવાદ વકરતા વિદ્યાર્થીઓની અટકાયત કરાઇ ના હતી અને ફરજિયાત વાર્ષિક મેસની ફીના નિર્ણયને બદલવામાં આવ્યો હતો.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર એર ઈન્ડિયાને લગતા હતા. ફ્લાઇટનું એન્જિન હવામાં જ બંધ થઈ ગયું. બીજા સમાચાર ચાંદીને લગતા હતા, જેની કિંમત એક જ દિવસમાં ₹7,000થી વધુ વધી ગઈ. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, કેરળ અને અંડમાન–નિકોબારની SIR ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે. 2. ઈન્ડિયા વુમન્સ અને શ્રીલંકા વુમન્સ વચ્ચે બીજો T20 મેચ વિશાખાપટ્નમમાં સાંજે 7 વાગ્યાથી રમાશે. કાલના મોટા સમાચારો 1. હવામાં બંધ થયું એર ઇન્ડિયાના પ્લેનનું એન્જિન:બીજા એન્જિનની મદદથી દિલ્હીમાં ઇમર્જન્સી લેન્ડિંગ; મુંબઈ જઈ રહેલા 335 મુસાફરના જીવ તાળવે ચોંટ્યા દિલ્હીથી મુંબઈ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટનું 40 મિનિટમાં જ ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. રિપોર્ટ્સ અનુસાર, AI887 ફ્લાઈટનું એક એન્જિન ટેક-ઓફ પછી બંધ થઈ ગયું હતું. એમાં ઓઈલ પ્રેશર ઝીરો થઈ ગયું હતું. એના કારણે એને દિલ્હી એરપોર્ટ પાછું ફરવું પડ્યું. પ્લેને સવારે 6:10 વાગ્યે AI 887 તરીકે મુંબઈ માટે ઉડાન ભરી હતી અને 6.52 વાગ્યે એ પાછું આવી ગયું, જોકે 2 એન્જિનવાળા પ્લેન એક એન્જિન દ્વારા પણ સુરક્ષિત રીતે લેન્ડ કરી શકે છે, તેથી એને તરત જ પાછું બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. વાંચો સંપૂર્ણ સમાચાર 2. મુનીરે કહ્યું, ભારત સાથે યુદ્ધ સરળ નહોતું, અલ્લાહે બચાવ્યા:મેં પોતે અનુભવ્યું 'ઓપરેશન સિંદૂર'માં પાકિસ્તાનની હાલત ખરાબ હતી; ભારતે 11 પાકિસ્તાની એરબેઝ ઉડાવી દીધા હતા પાકિસ્તાની સેનાપ્રમુખ અસીમ મુનીરે ભારત સાથે મે મહિનામાં થયેલા સૈન્ય સંઘર્ષમાં અલ્લાહની મદદ મળવાનો દાવો કર્યો. તેમણે કહ્યું હતું કે અમે એને અનુભવ્યું, જેના કારણે પરિસ્થિતિ સંપૂર્ણપણે બગડતી અટકી ગઈ. મુનીરે આ નિવેદન 10 ડિસેમ્બરે ઇસ્લામાબાદમાં યોજાયેલી નેશનલ ઉલેમા કોન્ફરન્સમાં આપ્યું. તેમના ભાષણની વીડિયો-ક્લિપ્સ રવિવારે સ્થાનિક ટીવી ચેનલો પર બતાવવામાં આવી. ભારતે 7 મેના રોજ 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આતંકવાદી ઠેકાણાં પર હુમલા કર્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 3. સોનું-ચાંદી ઓલ ટાઈમ હાઈ:સોનું ₹1,805 વધીને ₹1.34 લાખ પ્રતિ 10 ગ્રામ થયું, ચાંદી ₹7,483 મોંઘી થઈને ₹2.08 લાખ પ્રતિ કિલો પર પહોંચી સોના-ચાંદીના ભાવ આજે એટલે કે 22 ડિસેમ્બરે ઓલ ટાઈમ હાઈ પહોંચી ગયા છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, સોનું 1,805 રૂપિયા વધીને 10 ગ્રામ દીઠ 1,33,584 રૂપિયા થયું છે. આ પહેલા તે 1,31,779 રૂપિયા પર હતું. જ્યારે, 1 કિલો ચાંદીની કિંમત 7,483 રૂપિયા વધીને 2,07,550 રૂપિયા પર પહોંચી ગઈ છે. આ પહેલા તે 2,00,067 રૂપિયા પર હતી. આ વર્ષે અત્યાર સુધીમાં સોનું 57,422 રૂપિયા અને ચાંદી 1,21,533 રૂપિયા મોંઘી થઈ ચૂકી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ફાસ્ટેગથી પાર્કિંગથી લઈને પેટ્રોલ સુધીનું પેમેન્ટ થશે:માર્ગ પરિવહન મંત્રાલય યોજના લાવી રહ્યું છે; 6 મહિનાનો ટ્રાયલ સફળ રહ્યો કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય ફાસ્ટેગને મલ્ટિપર્પસ બનાવવાની તૈયારીમાં છે. આ અંતર્ગત હવે પાર્કિંગથી લઈને પેટ્રોલ સુધીનું પેમેન્ટ ફાસ્ટેગથી કરી શકાશે. આ માટે છ મહિનાથી ચાલી રહેલો ટ્રાયલ સફળ રહ્યો છે. તેનો ઉદ્દેશ્ય છે કે ફાસ્ટેગનો ઉપયોગ માત્ર ટોલ ચૂકવણી પૂરતો સીમિત ન રહે, પરંતુ યાત્રા દરમિયાન રસ્તા સિવાય મળતી સુવિધાઓની ચૂકવણીમાં પણ થાય. અધિકારીઓએ કહ્યું- આનાથી ડિજિટલ ફ્રોડની આશંકા ઓછી થશે. યુઝર ફાસ્ટેગને વોલેટની જેમ ઉપયોગ કરી શકશે, જેનાથી છેતરપિંડીની સ્થિતિમાં નુકસાન ઓછું થાય. વાંચો સંપૂર્ણ સમાચાર 5. બાંગ્લાદેશ હાઈ કમિશને ભારતમાં વિઝા સર્વિસ રોકી:સુરક્ષા કારણોનો હવાલો આપ્યો; ગઈકાલે ભારતે ચટગાંવમાં સર્વિસ રોકી હતી બાંગ્લાદેશ હાઈ કમિશને ભારતમાં સુરક્ષા કારણોનો હવાલો આપતા પોતાની તમામ વિઝા અને કાઉન્સેલર સેવાઓને કામચલાઉ ધોરણે બંધ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સ્થગિતતા આગામી આદેશ સુધી લાગુ રહેશે. આ પહેલા અગરતલામાં બાંગ્લાદેશ કોન્સ્યુલેટ પણ વિઝા સર્વિસ પર રોક લગાવી ચૂક્યું છે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. LRDમાં પસંદગી પામેલા 11,607 ઉમેદવારોને આજે નિમણૂક પત્રો મળશે:ગાંધીનગર સેક્ટર-11ના રામકથા મેદાનમાં CM દ્વારા નિમણૂક પત્રો એનાયત થશે રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે ગુજરાત સરકાર દ્વારા લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત પસંદગી પામેલા ઉમેદવારોને આવતીકાલે 23 ડિસેમ્બર 2025, મંગળવારે ગાંધીનગરના સેક્ટર-11 સ્થિત રામકથા મેદાન ખાતે યોજાનાર કાર્યક્રમમાં નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે. આ નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કુલ 11,607 નવનિયુક્ત ઉમેદવારોને સત્તાવાર રીતે પોલીસ દળમાં જોડાવાનો અવસર મળશે. કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ રહેશે, જ્યારે પોલીસ હાઉસિંગ-જેલ રાજ્ય મંત્રી કમલેશ પટેલ ખાસ ઉપસ્થિતિ તરીકે હાજર રહી નવનિયુક્ત જવાનોને પ્રોત્સાહિત કરશે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. FB પર 'રાઘવજી પટેલ ભ્રષ્ટાચારનું ઘર'ની પોસ્ટ વાઇરલ:પૂર્વ મંત્રી પોલીસ સ્ટેશન પહોંચ્યા, કહ્યું- મારા ફોટા AIથી એડિટ કરી વિકૃત બનાવાયા; રાજકીય કારકિર્દી ખરાબ કરવાનું ષડ્યંત્ર જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલે સોશિયલ મીડિયા પર બદનામી કરવા બદલ બે ID ધારકો સામે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ જ ID ધારકો સામે ગઇકાલે જામનગરના એક બિલ્ડર પિતા-પુત્રએ પણ બદનક્ષીની ફરિયાદ નોંધાવી હતી, જેના કારણે આ મામલે ભારે ચકચાર જાગી છે. પૂર્વ મંત્રી રાઘવજી પટેલના ફોટાને એડિટ કરી સાડી પહેરાવીને 'આ છે આપણા ગુજરાતનું ગૌરવ, પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલ ભ્રષ્ટાચારનું ઘર' જેવું લખાણ લખીને બે ID ધારકોએ ફેસબૂક અને ઇન્ટ્રાગ્રામ જેવા સોશિયલ મીડિયામાં અપલોડ કરતા પૂર્વ મંત્રીએ બંને આઇડી ધારકો સામે જામનગર સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : 'ફાતિહા પઢવા લાયક પણ નહીં છોડીએ': સીરપ કૌભાંડ મુદ્દે યોગી સપા પર વરસ્યા, દુબઈ યાત્રાના પુરાવા સાથે સપા ઉમેદવારનું કૌભાંડ સાથે કનેક્શન બતાવ્યું વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ‘હું યુક્રેનની જેલમાં ફસાયો છું’:રશિયામાં દગો થયો, હવે આગળ શું થશે ખબર નથી, મોરબીના યુવકે જણાવી આપવીતી વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : પંજાબના પૂર્વ IGએ પોતાને ગોળી મારી: હાલત ગંભીર, 12 પાનાની લાંબી લચક સુસાઈડ નોટ લખી; ₹8.10 કરોડના ઓનલાઈન ફ્રોડનો ઉલ્લેખ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : હસીના બોલ્યા- બાંગ્લાદેશમાં ભારતના વિરોધ માટે યુનુસ જવાબદાર: તેમના સમર્થનથી કટ્ટરપંથીઓ હિંસા કરી રહ્યા છે, લઘુમતીઓ પર થઈ રહ્યા છે હુમલા વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ ડીલનું એલાન:ભારતમાં આવતો અડધાથી વધુ સામાન આવતીકાલથી ડ્યુટી ફ્રી, અનેક વસ્તુઓ સસ્તી થશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : વર્લ્ડ કપ હાર પર રોહિતે કહ્યું: હું સંપૂર્ણપણે ભાંગી પડ્યો: ક્રિકેટ છોડવાનું મન બનાવી લીધું હતું; ભારતને ઓસ્ટ્રેલિયાએ ફાઈનલમાં હરાવ્યું હતું વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : મનના યુદ્ધને જીતવા માટે શું કરવું?:નિર્ણયોમાં સ્પષ્ટતા લાવવા અને નિષ્કામ કર્મ અપનાવવા માટે ગીતાનો માર્ગ વરદાનરૂપ વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન ખબર હટકે વ્હીલચેરમાં બેઠો, ફોટો પડાવ્યો, પછી દિવ્યાંગ ઊભો થઈને ચાલવા લાગ્યો ઉત્તર પ્રદેશમાં, એક દિવ્યાંગ વ્યક્તિને વ્હીલચેર મળતાની સાથે જ તે ઉઠી ગયો અને ચાલવા લાગ્યો. આ ઘટના સુલતાનપુરમાં વ્હીલચેર વિતરણ કાર્યક્રમમાં બની હતી. લંબુઆ મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય સીતારામ વર્મા પણ હાજર હતા. તેમણે એક સ્વસ્થ વ્યક્તિને વ્હીલચેરનું વિતરણ કર્યું, જેણે તેમાં બેસીને ફોટો પણ પડાવ્યો. પછી તે ઉભો થયો અને તેને ફોલ્ડ કરવાનું શરૂ કર્યું. અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે જે યુવાનને વ્હીલચેર મળવાની હતી તે આવી શક્યો નહીં, તેથી તે તેના પિતાને આપવામાં આવી. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. રીલ્સના રાજ્જા-1 : 'ખજૂર' છેલ્લી પાટલીએ બેસીને ક્લાસમાં ખમણ-સેન્ડવિચ વહેંચતો:પિતાના આ શબ્દો નીતિન જાનીના મનમાં અંકિત થયા, માજીએ હાથ પકડ્યો ને સેવા કાર્યમાં ઝંપલાવ્યું 2. સપનામાં જીભ પર દેવી લખી જતી ફોર્મ્યુલા: પત્ની સાથે રહેત તો લાંબું જીવન જીવત ગણિતશાસ્ત્રી રામાનુજન, જન્મદિવસ પર રસપ્રદ કિસ્સાઓ 3. સિંગલ ડિજિટ તો દૂર, નલિયા પણ આ વર્ષે ગરમ!: બધે એક જ ચર્ચા- આ વખતે ઠંડી ક્યાં ગાયબ થઇ ગઇ? સ્કાયમેટના મહેશ પલાવતે સમજાવ્યા કારણ 4. ગ્રાઉન્ડ રિપોર્ટ : 'જે ઘરમાં દારૂ પીવાય તેની સાથે વ્યવહાર નહિ': બનાસકાંઠાના ડોડિયા ગામમાં દારૂએ યુવાનોનો ભોગ લીધો; 12 દિવસે બનતો દારૂ એક દિવસમાં બનાવી નાખે છે! 5. મંડે મેગા સ્ટોરી : જે બાંગ્લાદેશને ભારતે બનાવ્યું તે જ મોટો પડકાર: પાકિસ્તાન-ચીન સાથે મળીને કયું કાવતરું ઘડી રહ્યા છે? સરકારે તેનો સામનો કેવી રીતે કરવો જોઈએ? 6. યુવતીઓ હિજાબ પહેરે, અખંડ બંગાળ, કેવી હતી ઉસ્માનની રાજનીતિ: બાંગ્લાદેશની સરકાર માટે આંખનો કણો બની ગયો, મર્ડરથી કોને ફાયદો 7. ‘ભાઈ આતંકી, હું નહીં, કનેક્શન નીકળે તો ગોળી મારી દેજો’: હિઝબુલ કમાન્ડરના સંબંધીઓ પાવર પ્રોજેક્ટમાં સામેલ, શું પાકિસ્તાનનું કોઈ કાવતરું? કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ મંગળવારનું રાશિફળ: મેષ, મકર અને મીન રાશિના જાતકોનું કાર્ય 'મંગળ'મય પાર પડશે, મિથુન રાશિના લોકો માટે મથામણ વાળો દિવસ (સંપૂર્ણ રાશિફળ વાંચો)
ગંભીરની રણનીતિ:ગૌતમ ગંભીરની ફર્સ્ટ ફિલ્ડિંગની નીતિ કોટંબીમાં ધૂમ્મસ હશે ત્યારે કામ લાગશે
15 વર્ષ પૂર્વે વડોદરામાં રમાયેલી મેન્સ ઈન્ટરનેશનલ મેચ ઈન્ડિયા-ન્યૂઝિલેન્ડ વચ્ચે રમાઈ હતી. હવે ફરી ઈન્ડિયા-ન્યૂઝિલેન્ડ ઓડીઆઈ 11 જાન્યુઆરી 2026એ કોટંબી સ્ટેડિયમમાં રમાશે. 15 વર્ષ પહેલાં ગૌતમ ગંભીર વડોદરામાં ન્યૂઝિલેન્ડ સામે મેન ઓફ ધી મેચ રહ્યા હતા. હવે તે ટીમ ઈન્ડિયાના કોચ છે અને વડોદરાના ક્રિકેટને જાણે છે, જેથી ટીમને કોચિંગ સહિત સકારાત્મક માર્ગદર્શન આપી શકશે. કોટંબીની બાઉન્ડ્રી મોટી છે. અહીં હાઇસ્કોરિંગ થઈ શકે છે. ગંભીરની પ્રથમ ફિલ્ડિંગની સ્ટ્રેટેજી રહે છે જે જાન્યુઆરીમાં કોટંબીમાં ધૂમ્મસ હોવાથી ફાયદાકારક રહેશે. 15 વર્ષ પહેલાં પણ આ જ સ્થિતિ હતી. જેથી ઈન્ડિયા ટોસ જીતે તો ફિલ્ડિંગ કરશે તેમ જાણકારો માનવું છે. વડોદરામાં વિરાટ કોહલીએ વિનિંગ છગ્ગો ફટકારી ન્યૂઝિલેન્ડ સામે જીત મેળવી હતી. ત્યારે ફરી વિરાટ કોહલી અને રોહિલ શર્માની જબરજસ્ત બેટિંગ જોવા મળશે. વડોદરા બેટિંગ પિચ છે. જેથી બંને ટીમના શાનદાર ચોગ્ગા-છગ્ગા જોવા મળશે. 4 ડિસેમ્બર 2010એ ઈન્ડિયા-ન્યૂઝીલેન્ડની મેચ રિલાયન્સ સ્ટેડિયમમાં રમાઈ હતી. હાર્દિક પંડ્યા ટી-20 સ્ક્વોડમાં છે, જેથી સામેલ થશે કે કેમ? તે અંગે પ્રશ્નો છે. ફિટ હશે તો ઓડીઆઈ ટીમમાં સામેલ થઈ શકશે. ભાસ્કર એક્સપર્ટમેચ હાઇસ્કોરિંગ રહેશે, 300 ઉપર રન થશે - કિરણ મોરે, પૂર્વ ક્રિકેટર ઇન્ડિયા-ન્યૂઝિલેન્ડની ટીમો વડોદરામાં સતત ત્રણ દિવસ સુધી રોજ 3-3 કલાકની પ્રેક્ટિસ કરશેઈન્ડિયા-ન્યૂઝીલેન્ડની ટીમો 7 જાન્યુઆરીએ વડોદરા આવશે. 8 જાન્યુઆરીથી કોટંબી સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ શરૂ કરશે. બંને ટીમ સતત ત્રણ દિવસ ત્રણ-ત્રણ કલાક સુધી પ્રેક્ટિસ કરશે. દર્શકો ઈન્ટરનેશનલ મેચને લઈ ઉત્સુક થયા છે અને ટિકિટ બુકિંગની રાહ જોઈ રહ્યા છે.
આગાહી:વાદળ દૂર થતાં આજે ઠંડીનો પારો 12 ડિગ્રી સુધી જઇ શકે
મંગળવારથી ઠંડીનો પારો 2થી 3 ડિગ્રી ગગડી 12 ડિગ્રી નોંધાય તેવી સંભાવના છે. 31 ડિસેમ્બર સુધી ઠંડીનો પારો 12થી 13 ડિગ્રી નોંધાય તેવી સંભાવના છે. સોમવારે વાદળો જોવા મળ્યાં હતાં, જેના કારણે લઘુત્તમ પારો પણ 14 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. ડિસેમ્બરમાં ઠંડીનો પારો 12 ડિગ્રીથી 16 ડિગ્રી સુધી નોંધાયો છે. આગામી 9 દિવસમાં પણ પારો 12 ડિગ્રી નોંધાય તેવી સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર, સોમવારે મહત્તમ પારો 30.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનનો પારો 14.2 ડિગ્રી નોંધાયો હતો. ડિસ્ટર્બન્સના કારણે ઠંડા પવનો રોકાઈ ગયા હતાહિમાલયમાં વેસ્ટર્ન િડસ્ટર્બન્સથી બરફ વર્ષા થતાં વડોદરામાં વાદળછાયું વાતાવરણ હતું. લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી થયું હતું. વાદળો હટતાં આજથી પારો 12 ડિગ્રી જવાની વકી છે. > મુકેશ પાઠક, હવામાનશાસ્ત્રી
પ્રજાની સમસ્યા:પ્રજાના પ્રશ્નો માટે પાલિકામાં 9 મહીનામાં 16 સામાન્ય સભા મળી, 8 મુલતવી કરાઇ
પ્રજાના પ્રશ્નો માટે પાલિકામાં મળતી સામાન્ય સભા ડિસેમ્બરમાં સતત બીજી વાર મુલતવી કરવી પડશે. હવે 2025ના સળગતા પશ્નોની ચર્ચા નવા વર્ષ 2026માં થશે. 9 મહિનામાં 16 સભા મળી છે. જેમાંથી માત્ર 8 સભામાં પ્રજાના પ્રશ્નોની ચર્ચા થઇ છે. શહેરમાં પાણી, રોડ, ગટર, ટ્રાફિક જામ, દબાણો જેવી સમસ્યાઓ અંગે મહિનામાં એક વખત સામાન્ય સભામાં ચર્ચા થાય છે. જોકે એપ્રિલથી ડિસેમ્બર સુધી મળેલી 16 સભા પૈકી દરેકને એક વખત મુલતવી રખાઇ છે. જેનું કારણ દેશમાં ઘટેલી દુર્ઘટના, કેન્દ્રીય મંત્રી, પૂર્વ કાઉન્સિલરોના નિધન છે. ભાસ્કર નોલેજક્યારે સભા મુલતવી કરાઈ17 એપ્રિલ : ડિસામાં ફેક્ટરીમાં આગમાં 20ના મોત થતાં મુલતવી. 15 મે : પહેલગામ આતંકવાદી હુમલો, પૂર્વ આરોગ્ય મંત્રીનું નિધન 18 જૂન : અમદાવાદ વિમાન દુર્ઘટના, પૂર્વ CM વિજય રૂપાણીનું નિધન 17 જૂલાઈ : ગંભીરા બ્રિજ દુર્ઘટના, પૂર્વ કાઉન્સિલરનું અવસાન 20 ઓગસ્ટ : પૂર્વ કાઉન્સિલર મધુબેન, પૂર્વ રાજ્યપાલનું નિધન 10 ઓક્ટોબર : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષનું અવસાન 20 નવેમ્બર : પૂર્વ કાઉન્સિલર ખોડા ભરવાડ-મગન દેસાઈનું નિધન 17 ડિસેમ્બર : એક્ટર ધર્મેન્દ્ર, પૂર્વ કાઉન્સિલર, પૂર્વ ગૃહ મંત્રીનું નિધન આ પ્રશ્નો પર ચર્ચા જરૂરી
ઉચ્ચ શિક્ષણ કમિશનરની કોલેજ-યુનિ.ઓને સૂચના:MSUમાં કૂતરાં ભગાડવા કર્મી રાખી નોડલ ઓફિસર નિમાશે
ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીએ રખડતા કૂતરા સંદર્ભે કોલેજ-યુનિ.ઓને સૂચના આપી છે. મ.સ.યુનિ.માં રખડતા કૂતરા માટે કર્મચારી અને નોડલ ઓફીસર પણ નિમાશે. સુપ્રીમ કોર્ટમાં સુઓમોટો રીટ પિટિશન સંદર્ભે રાજય સરકારે તમામ સરકારી, ગ્રાન્ટેડ કોલેજના આચાર્યો-રજીસ્ટ્રારને પરિપત્રથી તાકીદ કરી છે. નોડલ ઓફિસરનો નિમણૂકપત્ર, રખડતા કૂતરાની દેખરેખ માટે ગાર્ડની વિગતો, વિદ્યાર્થીઓમાં જાગૃતિ કાર્યક્રમનો અહેવાલ 17મી પહેલાં મોકલવા સૂચના આપી હતી. પાલિકાના સહયોગથી કામનો પણ ઉલ્લેખ છે. હવે મ.સ.યુનિ.માં કૂતરા માટે નોડલ અધિકારી નિમવો પડશે. આ 10 મુદ્દાઓનું પાલન કરવું પડશે 1. રખડતા કૂતરા માટે ઓળખાયેલી સંસ્થાઓની સંખ્યા 2. રખડતા કૂતરાઓને રોકવા માટે લેવામાં આવેલા પગલાં 3. નોડલ અધિકારી નિયુક્ત કરવા 4. સત્તાવાળાઓ દ્વારા નિરીક્ષણ કરાયેલ સંસ્થાઓની સંખ્યા 5. પકડાયેલા કૂતરાઓની સંખ્યા 6. રખડતા કૂતરાઓ માટે કર્મચારીઓની તૈનાતી 7. પરિવહન પરિસર કૂતરાંથી સુરક્ષિત છે જેની પૂર્તતા કરવી 8. કૂતરાની અવરજવર અટકાવાની પ્રક્રિયા 9. હડકવા વિરોધી રસીઓ અને ઇમ્યુનોગ્લોબ્યુલિનનો સ્ટોક 10. શૈક્ષણિક સંસ્થામાં જાગૃતિ સત્ર ભાસ્કર ઇનસાઇડમ.સ.યુનિ.નો જ પૂર્વ કર્મચારી કેમ્પસમાં જ 5 સ્થળે 50થી વધુ કૂતરાંને ખાવાનું ખવડાવે છેમ.સ.યુનિ.ના એક હંગામી કર્મચારી દ્વારા કેમ્પસમાં 4થી 5 જગ્યાએ રોજ રખડતા કૂતરાંને ખાવાનું નખાય છે. જેના પગલે 50થી વધુ કૂતરા ભેગા થાય છે. સાંજે કર્મચારી ડી.એન.હોલ ગ્રાઉન્ડ નજીક, હોસ્ટેલ પાસે, પ્રતાપસિંહ ગાયકવાડ પરિસર, સોશિયલ વર્ક ફેકલ્ટી પાસે રખડતા કૂતરાને ખવડાવે છે. જેના પગલે મોટી સંખ્યામાં કેમ્પસમાં રખડતા કૂતરાઓ વધી ગયા છે. ત્યારે યુનિવર્સિટી સત્તાધીશો કેવી રીતે રખડતા કૂતરાઓ રોકી શકશે તે સવાલ છે.
ભાસ્કર એક્સક્લુસિવ:આરટીઓનો ટેસ્ટ ટ્રેક AI આધારિત થતાં 2 ફૂટ પહોળાઇ વધી, 3600માંથી 1600 લોકો પાસ
સરકારે આરટીઓ ટેસ્ટ ટ્રેક એઆઇ આધારિત કરતાં વડોદરા આરટીઓમાં પાસ થનારા ઉમેદવારોમાં વધારો નોંધાયો છે. એક મહીનાથી શરૂ થયેલા નવા ટ્રેકમાં નવા પરિમાણોને પગલે ટ્રેક પહોળો થયો છે. જેના પગલે ઉમેદવારોને ટેસ્ટ આપવામાં સરળતા રહેવાથી ટેસ્ટ આપનારા 3600માંથી 1600થી વધુ લોકો પાસ થયાનું આરટીઓના પ્રાથમીક તારણમાં આવ્યુ છે. ફોર વ્હીલરનો ટેસ્ટ આપવા આવનારા ઉમેદવારો અગાઉ સૌથી વધારે રીવર્સ એસનો ટેસ્ટ આપતાં નાપાસ થતા હતા. આરટીઓ મૂજબ, નવા પરિમાણોમાં બન્ને તરફ 24-24 એમએમ અટલે અંદાજે 1-1 ફૂટની જગ્યા વધુ મળે છે. જેથી આ બદલાવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કાર ચાલકોને ટેસ્ટ આપતી વખતે પોતે પાસ થશે કે કેમ? તે અંગે ચિંતા સતત રહેતી હતી. આરટીઓમાં અગાઉ 65 ટકા ઉમેદવારો નાપાસ થતા હતા. જ્યારે 35 ટકા પાસ થતા હતા. વડોદરા આરટીઓમાં રોજ 120થી 130 જેટલા ઉમેદવારો કારનો ટેસ્ટ આપે છે. ઉમેદવારો નાપાસ થતા હોવાથી અન્યત્ર ટેસ્ટ આપવા જતા હતા જે હવે બંધ થશેઆરટીઓ દ્વારા નવા ટેસ્ટ ટ્રેક તૈયાર કરાવવામાં આવતા વડોદરા શહેરમાં પાસ થનાર ઉમેદવારોની સંખ્યામાં વધારો તથા આત્મવિશ્વાસમાં વધારો થશે અને અનેક મોટર ટ્રેનિંગ સ્કૂલમાંથી ઉમેદવારો જ્યાં ટેસ્ટ ટ્રેક ન હોય ત્યાં ટેસ્ટ આપવા જવાની પસંદગી કરતા હતા. જે આવે મહદંશે બંધ થશે. વડોદરામાં જ ટેસ્ટ આપે તેવો બદલાવ આવી શકે છે. ટ્રેકની બંને બાજુ જગ્યા છોડવાની હોય છેસમગ્ર રાજ્યમાં ટ્રેક બનાવવાની ગાઈડલાઈન મુજબ ટ્રેક તૈયાર થયા છે. જેમાં ટ્રેકની બંને બાજુ થર્મોપ્લાસ્ટ માટે બે પટ્ટા મારવાના હોય છે. જેથી જગ્યા છોડવાની હોય છે. જેને પગલે ટ્રેક થોડો મોટો બને છે. જેથી ઉમેદવારોને સુગમતા રહે. > જેકે.કા.પટેલ, આરટીઓ, વડોદરા
મ.સ.યુનિના ઝૂઓલોજી વિભાગના 106 પૈકી 42 વિદ્યાર્થીએ એનઇપી અંતર્ગત ઈન્ટર્નશિપ માટે સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયની પસંદગી કરતાં પ્રાણીશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે ઈન્ટર્નશીપનું સૌથી પસંદગીનું કેન્દ્ર બન્યું છે. ક્યુરેટર પ્રત્યુશ પાટણકરે જણાવ્યું કે, એનઇપી અંતર્ગત તમામ યુનિવર્સિટિના અભ્યાસક્રમમાં ઈન્ટર્નશિપને મહત્વ આપ્યું છે. જેમાં વિદ્યાર્થીઓને ઈન્ટર્નશિપની સંસ્થા પસંદ કરવાની સ્વતંત્રતા છે. સયાજીબાગ પ્રાણીસંગ્રહાલયની શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સંશોધન ક્ષમતાઓને જોતા પ્રાણીશાસ્ત્ર વિભાગના બેચલર ઓફ ઝૂઓલોજી સેમેસ્ટર-6માં અભ્યાસ કરતા 106 પૈકી 42 વિદ્યાર્થીઓએ તેઓની ઈન્ટર્નશિપ માટે સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયની પસંદગી કરેલી છે. શૈક્ષણિક જગત અને સંસ્થાઓ વચ્ચેનો આ સમાગમ વૈજ્ઞાનિક વિચારધારા ધરાવતા ભાવી વન્યજીવ વ્યાવસાયિકો અને સંરક્ષણવાદીઓની પેઢી તૈયાર કરવાના અભિગમને માર્ગ આપશે. પ્રથમવાર કચ્છના નાના રણમાં ઘુડખર અભયારણ્યમાં ઈન્ટર્નશિપ માટે ગયા ઝૂ મેનેજમેન્ટ શીખવાડવામાં આવે છેઝૂઓલોજી વિભાગના જે વિદ્યાર્થીઓ સયાજીબાગ પ્રાણી સંગ્રાહલયમાં ઈન્ટર્નશિપ માટે આવ્યા છે તેમને પ્રેક્ટીલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જેમાં ઝૂ મેનેજમેન્ટ શીખવાડવામાં આવે છે. ઝૂનું સંચાલન કેવી રીતે કરી શકાય, ફિલ્ડ વર્ક અને થિયરી પણ શીખવાડવામાં આવશે.
શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં અગાઉ છોડવામાં આવતા ડ્રેનેજના પાણી બંધ કરવા સાથે ટ્રિટેડ થયેલા પાણી પણ હવે નદીમાં ઠલવાતા બંધ થશે. ટ્રિટેડ વોટર નદીમાં નાખવાની જગ્યાએ પાલિકા હવે તે પાણી GSFC, GACL અને GIPCLને આપી રૂ.9 કરોડની આવક ઊભી કરશે. પાલિકા દ્વારા પ્રિટેડ વેસ્ટ વોટર રિસાયકલ પ્રોજેક્ટ અંતર્ગત છાણી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી ત્રણ કંપનીઓને રોજનું 4.2 કરોડ લિટર પાણી ટ્રીટ કરીને આપવાનો પ્રોજેક્ટ હાથ પર લીધો છે. જે પ્રોજેક્ટ પાછળ પાલિકા રૂપિયા 129 કરોડનો ખર્ચ કરશે. જીએસએફસીને 3.2 કરોડ લિટર, જીએસીએલને 50 લાખ લીટર અને જીઆઇપીસીએલને 50 લાખ લીટર પાણી આપવા માટે પાલિકા છાણી ટ્રિટેડ વોટર પ્લાન્ટથી 16 કિલોમીટર સુધીનું લાઈનનું નેટવર્ક નાખશે. આ પાણી વેચવાથી વડોદરા મહાનગર પાલિકાને વર્ષે રૂ.9 કરોડની આવક મળવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. અહીંયા મહત્વનું છે કે, અગાઉ પણ રાજીવનગર સુએજ ટ્રિટમેન્ટ પ્લાન્ટથી રોજનું 6 કરોડ લિટર પાણી રિલાયન્સને આપવાનું શરૂ કર્યું છે. જેનાથી પાલિકાને વાર્ષિક રૂ.8 કરોડની મહત્વની આવક થઈ રહી છે. શેરખીનું 2.5 કરોડ લિટર પાણી નંદેસરી જીઆઇડીસીને વેચવામાં આવશેપાલિકા છાણી સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ સાથે શેરખીમાં બની રહેલા 10 કરોડ લિટર પાણીની ક્ષમતાવાળા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી 2.5 કરોડ લિટર પાણી નંદેસરી જીઆઇડીસીને મળે તેવું આયોજન કરી રહ્યું છે. 116 કરોડના પ્રોજેક્ટમાં પાણી પહોંચાડવા 13 કિમી સુધી નેટવર્ક નખાશે જે રૂ. 8 કરોડ વાર્ષિક મેળવશે. કંપનીઓમાં ટ્રિટેડ વોટર આપવાથી રોજ 2.80 લાખ લોકોને મળે તેટલું ચોખ્ખું પાણી બચી જશેપાલિકા 3 કંપનીઓને છાણી રિયુઝ વોટર પ્રોજેક્ટથી 4.2 કરોડ લિટર પાણી આપશે. ત્રણેય કંપનીમાં પ્રોસેસિંગ માટે ચોખ્ખું પાણી વાપરવામાં આવે છે. સૂત્રો મુજબ કંપનીઓને જ્યારે ટ્રિટેડ પાણી મળશે તો તેમાં ચોખ્ખું પાણી નહીં વાપરવું પડે અને અંદાજે રોજ શહેરના 2.80 લાખ લોકો વાપરી શકે તેટલું ચોખ્ખું પાણી બચશે. આ જ રીતે રાજીવનગર એસટીપીથી આઇપીસીએલ અને રિલાયન્સને અપાતા 6 કરોડ લીટર પાણી ટ્રિટેડ પાણીના કારણે પણ 4 લાખ લોકો રોજ વાપરી શકે તેટલું ચોખ્ખું પાણી બચી રહ્યું છે. ટ્રિટેડ વેસ્ટ વોટર રિસાયકલ પ્લાન્ટમાં 129 કરોડ ખર્ચાશે
નબળી કામગીરી:ભાટપુરમાં શાળાના બાંધકામમાં કોલમ-બીમ ગાયબ, કાચી ઈંટોના જોરે ઉભું કરાયું માળખું
વ્યારા તાલુકાના ભાટપુર ગામે સરકાર દ્વારા ધોરણ 1થી 5 માટે બની રહેલી નવી પ્રાથમિક શાળા વિવાદના વમળમાં ફસાઈ છે. વિકસિત ભારતના નારા વચ્ચે ભવિષ્ય સમાન બાળકોના જીવ સાથે ચેડાં થતા હોય તેવા ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. કોન્ટ્રાક્ટર દ્વારા થઈ રહેલા અત્યંત નબળા અને જોખમી બાંધકામને લઈ ગ્રામજનોમાં ભારે રોષ છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, શાળાની છત પાકી RCC સ્લેબની બનાવવાની યોજના છે, પરંતુ નવાઈની વાત એ છે કે આખા બાંધકામમાં એક પણ કોલમ કે બીમ મૂકવામાં આવ્યો નથી. પાયામાં મજબૂત ઈંટોને બદલે કાચી અને સસ્તી ઈંટો વાપરીને આખું માળખું ઉભું કરી દેવાયું છે. જો આવી સ્થિતિમાં સ્લેબ ભરાય, તો તે વજન સહન ન કરી શકવાને કારણે ગમે ત્યારે ધરાશાય થઈ શકે છે. ભૂતકાળમાં અનેક જગ્યાએ શાળાઓની છત કે દીવાલો તૂટી પડવાથી બાળકોના મોત નિપજ્યા હોવાના કિસ્સા બન્યા છે. વાલીઓમાં ભય છે કે, શું તેમના બાળકોને ભણવા નહીં પણ અકસ્માત માટે શાળામાં મોકલવા? ગ્રામજનોએ સવાલ કર્યો છે કે, ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ઘટશે તો તેની જવાબદારી કોની રહેશે? ગ્રામજનોની કલેક્ટરને કમાન્ડ રજૂઆત
હુન્નરને મળી પાંખ:વ્યારાની ગૃહિણીએ નારિયેળના કચરાને કલામાં ફેરવ્યો, મેળામાં કોઇર આર્ટની ધૂમ
તાપી જિલ્લાના વ્યારાની એક ગૃહિણીએ સાબિત કરી દીધું છે કે જો મનમાં અતૂટ શ્રદ્ધા અને કંઈક નવું કરવાની તમન્ના હોય તો કચરામાંથી પણ કંચન પેદા કરી શકાય છે. વ્યારાના જાગૃતિબેન ગામીતે નારિયેળના નકામા રેસા (કોઇર) માંથી અદભૂત કલાત્મક ચીજવસ્તુઓ બનાવી આત્મનિર્ભરતાની અનોખી મિસાલ પેશ કરી છે. જે નારિયેળના રેસાઓને લોકો નકામા સમજી ફેંકી દેતા હોય છે, તેને જાગૃતિબેને પોતાની કળાથી મૂલ્યવાન બનાવ્યા છે. તેમણે રેસાઓમાંથી ગણેશજીની મનમોહક પ્રતિમાઓ, કલાત્મક ટોપલીઓ અને ઘરની સજાવટ માટેની વિવિધ વસ્તુઓ તૈયાર કરી છે. આ ઇકો-ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ હાલ વ્યારામાં યોજાયેલા ‘સશક્ત નારી મેળા’માં મુલાકાતીઓમાં ભારે આકર્ષણ જગાવી રહી છે. તાલીમે આપ્યું નવું આકાશ જાગૃતિબેનની આ સફળતા પાછળ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને બાજીપુરાની ગ્રામ્ય ટેકનોલોજી સંસ્થાનો મોટો ફાળો છે. અહીંથી પ્રાપ્ત થયેલી વ્યાવસાયિક તાલીમના જોરે તેમણે ગૃહિણીમાંથી ઉદ્યોગ સાહસિક સુધીની સફર ખેડી છે. મેળામાં તેમના સ્ટોલ પર ગ્રાહકોનો અદભૂત પ્રતિસાદ મળી રહ્યો છે, જેનાથી તેમની મહેનતને આર્થિક વળતરની સાથે સામાજિક સન્માન પણ મળ્યું છે. એક પહેલ,અનેક ફાયદા
મુસાફરોમાં રાહત પ્રસરી:નવસારીમાં સિટી બસ સેવા હવે 13 કિમી દૂર ગામડાં સુધી
નવસારી મનપાની સીટી બસ સેવા હવે શહેરની હદથી 13 કિમી દૂર સુધી દોડવાની શરૂઆત થઈ છે. નવસારીમાં છેલ્લા સાડા ચારેક વર્ષથી ચાલી રહી છે. અગાઉ શહેરની હદ નજીકના વિસ્તાર સુધી જતી હતી, જોકે હવે શહેરની હદથી 13 કિમી દૂર સુધી જઈ રહી છે. મળતી માહિતી મુજબ હવે બસ ઐતિહાસિક દાંડી, મરોલી, અબ્રામા, આટ, નવાગામ સુધી પણ જઈ રહી છે. આ દૂર સુધી બસ જતા તે રુટ પર આવતા અનેક ગામોના લોકોને પણ તેનો લાભ મળી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ નવસારી મનપા બનતા હવે શહેરની હદથી 15 કિમી સુધી બસ દોડાવવાની મંજૂરી પણ મળી હોય રૂટ લંબાયા છે. અહીં ઉલ્લેખનીય છે કે નવસારીના અગાઉ માત્ર 8 બસ દોડતી હતી, હવે 20 બસ દોડી રહી છે. બસમાં વધારો થવાના કારણે શહેરમાં પણ જે વિસ્તારોનો અગાઉ સમાવેશ થતો ન હતો તેનો પણ કરી શકાયો છે. વધુમાં બસ સેવાનો ઉપયોગ કરનારા લોકો માટે પાસ ઉપર 20 ટકા ડિસ્કાઉન્ટની પણ જાહેરાત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરી બસ સેવાનો વિસ્તાર વધારવા માટે અગાઉ પણ રજૂઆત કરાઇ હતી, પરંતુ હવે કોર્પોરેશન બન્યા બાદ તે વિસ્તારને વધારી દેવામાં આવ્યો છે.
સિદ્ધિ:નવસારી હાઇ.ના 3 છાત્રે સ્ટેટ કરાટે ચેમ્પિયનશીપમાં મેડલ્સ જીત્યા
કેકેડીએફ ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશીપ નવસારી રામજી મંદિરમાં યોજાઈ હતી. જેમાં શેઠ એચ. સી. પારેખ નવસારી હાઇસ્કૂલના ધોરણ-9-બના વિદ્યાર્થી ટંડેલ મંથન કપિલભાઈએ- વયજુથ 13,14માં પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ, ધોરણ 11-બ ના વિદ્યાર્થી પટેલ વત્સલ સતીશકુમાર વયજુથ 16-17માં દ્વિતીયકમ મેળવી સિલ્વર મેડલ અને ધોરણ 11-બ ના વિદ્યાર્થી જશ તરુણભાઈ ઢીમ્મર વયજુથ 16-17માં તૃતીય ક્રમ મેળવી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ ત્રણેય વિદ્યાર્થીઓએ શાળાનું ગૌરવ વધાર્યું છે. આ તમામ વિદ્યાર્થીઓ તેમજ કોચ સુશાંત અને લાજરભાઈ અને શાળાના પી.ટી. શિક્ષક મંગલભાઈ થોરાટ તથા મેઘનાબેન દેવસરીયાને નવસારી કેળવણી મંડળના પ્રમુખ તુષારકાંત દેસાઈ, ઉપપ્રમુખ હિરેનભાઈ પારેખ, મંત્રી ઠાકોરભાઈ નાયક, આચાર્ય રાજેશભાઈ ટંડેલ તથા શાળા પરિવાર માર્ગદર્શક શિક્ષકોને તેમજ વિજેતા થનાર વિદ્યાર્થીને અનેરી સિદ્ધિ માટે અભિનંદન તથા ભવિષ્યની સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવી હતી.
રમત ગમત:ઘેજ-ભરડામાં ક્રિકેટ ટુર્ના.માં ટાઇ બાદ સુપર ઓવરમાં શિવ ઇલેવન ચેમ્પિયન
ઘેજ ગામના ભરડા ફળિયામાં યુવા ક્રિકેટર મીત પટેલ અને જય કિશન પટેલ તથા શિવ ક્રિકેટ કલબના સંયુકત ઉપક્રમે ચેમ્પિયન ટ્રોફીનું આયોજન કરવામાં આવતા ગામની આઠ ટીમોએ ભાગ લીધો હતો. અંડર-27 માટે યોજાયેલ આ ક્રિકેટ ટુર્નામેન્ટને સ્થાનિક તાલુકા સભ્ય ધર્મેશભાઇ સરપંચ રાકેશભાઇ ઉપરાંત રાજુભાઇ એલઆઇસી, પંકજભાઇ સહિતની ઉપસ્થિતિમાં ખુલ્લી મૂકાઇ હતી. આ ટુર્નામેન્ટની ફાઇનલમાં શિવ ઇલેવન અને બજરંગ ઇલેવન વચ્ચે ટક્કર જામી હતી. જેમાં પ્રથમ દાવમાં શિવ ઇલેવને નિર્ધારિત ઓવરમાં 5 વિકેટે 42 રન ફટકાર્યા હતા. આ ટાર્ગેટનો પીછો કરતા બજરંગ ઈલેવને 6 વિકેટના ભોગે 42 રન કરતા મેચમાં ટાઇ સર્જાઇ હતી. જેને પગલે આયોજકો દ્વારા સુપર ઓવર રમાડવામાં આવતા બજરંગ ઇલેવને 2 વિકેટે 10 રન ફટકારી 11 રનનો લક્ષ્યાંક આપતા શિવ ઇલેવને 5 બોલમાં દિગેન પટેલના બે સિક્સર સાથે 13 રન ફટકારતા વિજય થયો હતો. શિવ ઇલેવનના કપ્તાન ઉમંગભાઇ હળપતિ અને રનર્સ અપના ટીમના કપ્તાન નેહલ પટેલને શિવ ક્રિકેટ કલબના વિકી પટેલ, રાજન પટેલ ઉપરાંત પરભુભાઇ દાસ, આઇ.ડી.પટેલ, હિતેનભાઇ નવા ફળિયા સહિતની ઉપસ્થિતિમાં ટ્રોફી એનાયત કરાઈ હતી. ટુર્નામેન્ટમાં બેસ્ટ બેટ્સમેન ઉમંગ હળપતિ, બેસ્ટ બોલર અનિશભાઈ, બેસ્ટ ફિલ્ડર સાવન હળપતિ, મેન ઓફ ધી મેચ દિગેન પટેલ અને મેન ઓફ ધી સિરિઝનો ખિતાબ અનિસ પટેલને એનાયત કરાયો હતો.
NSS કેમ્પ યોજાયો:વિદ્યાર્થીઓને જીવનમાં લક્ષ્ય નિર્ધારણ અને જાહેર મિલકતોની જાળવણીનો સંદેશ અપાયો
કણધા ગિરિજન માધ્યમિક શાળાનો એનએસએસ કેમ્પ સતિમાળ ગામે યોજાયો હતો. રાષ્ટ્રીય સેવા યોજનાને ઉજાગર કરવા તેમજ બાળકોમાં રાષ્ટ્રીય સેવા ચરિતાર્થ કરવાના હેતુથી કેમ્પનો આયોજન કરાયું હતું. કેમ્પમાં મુખ્ય મહેમાનપદે નવસારી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અંબાબેન માહલા, વાંસદા તા.પં. શાસક પક્ષના નેતા બિપીન માહલા, સીઆરસી શૈલેષ માહલા, કણધા સ્કૂલના નિવૃત આચાર્ય રાયસીંગ ભોયા, માંડવખડક હાઇસ્કૂલના આચાર્ય હિતેશ માહલા, ગિરિજન સ્કૂલના આચાર્ય કલ્પેશ માહલા ઉપસ્થિત રહ્યાં હતા. બિપીન માહલાએ કહ્યું કે જીવનમાં બાળકે આગળ વધવા માટે એક લક્ષ હોવું જરૂરી છે. જો તમે લક્ષ ન રાખો તો તમે આગળ વધી શકશો નહીં. આપણે શું કરવું છે એ મહત્વનું છે બીજા શું કરે છે એની વાત માનવા જશો તો તમે આગળ કદી વધી શકશો નહીં. શૈલેષભાઈએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. અંબાબેને કહ્યું કે આપણે જાહેર મિલકતની પણ સાચવણી કરવી જોઈએ અને સુંદરતા વધારવી જોઈએ, જેમ કે શાળા, આંગણવાડી, બસ સ્ટોપ કે અન્ય સરકારી મિલકતોની જાળવણી કરવી જોઈએ. આ કેમ્પને સફળ બનાવવા શાળાના આચાર્ય કલ્પેશભાઈ માહલા, પ્રોગ્રામ ઓફિસર મિલનભાઈ ટંડેલ, નીતાબેન તલાવિયાના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ સતિમાળ ગામમાં કરવામાં આવી હતી.
સ્ટેટ હાઇવે ઓથોરિટીની ગંભીર બેદરકારી:વાંસદા-વઘઇ હાઇવેના કામમાં ડસ્ટ સાફ કરતા માસૂમ બાળકો
વાંસદાથી વઘઈને જોડતા સ્ટેટ હાઇવે પર રિપેરિંગ અને પેચવર્કની કામગીરીમાં બાળ મજૂરોનો ઉપયોગ કરાઇ રહ્યો છે. સ્ટેટ હાઇવે ઓથોરિટીની ઘોર બેદરકારી અને કોન્ટ્રાક્ટરોની લાલચને કારણે માસૂમ બાળકોનું ભવિષ્ય ધૂળમાં રોળાઈ રહ્યું છે. વાંસદા-વઘઈ સ્ટેટ હાઇવે પર હાલમાં રોડ સમારકામ અને પેચવર્કની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન રસ્તા પર જામી ગયેલી ધૂળ અને ડસ્ટ સાફ કરવા માટે મશીનરી કે પુખ્ત મજૂરોને બદલે નાના બાળકોને કામે લગાડાયા છે. કોન્ટ્રાક્ટરો પોતાના આર્થિક હિત સાધવા અને મોટા મજૂરોને ચૂકવવી પડતી મજૂરી બચાવવા આ માસૂમ બાળકોનો સહારો લઈ રહ્યા છે. ભારે વાહનોની અવરજવર ધરાવતા આ વ્યસ્ત હાઇવે પર જીવના જોખમે બાળકો કામ કરી રહ્યાં છે. આશ્ચર્યની વાત એ છે કે આ સમગ્ર પ્રવૃત્તિ સ્ટેટ હાઇવે ઓથોરિટીના અધિકારીઓની નજર સામે થઈ રહી છે. કાયદા મુજબ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પાસે મજૂરી કરાવવી એ ગંભીર ગુનો છે છતાં સરકારી પ્રોજેક્ટમાં જ કાયદાના લીરેલીરા ઉડી રહ્યા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે શું અધિકારીઓ જાણીજોઈને આંખ આડા કાન કરી રહ્યાં છે ? હાઇવે પર ઉડતી ડામરની ડસ્ટ અને વાહનોના ધુમાડા વચ્ચે બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. તેજ ગતિએ દોડતા વાહનો વચ્ચે બાળકો પાસે સફાઈ કરાવવી એ જીવલેણ સાબિત થઈ શકે છે. લેબર ડિપાર્ટમેન્ટ અને હાઇવે ઓથોરિટીની નિષ્ક્રિયતા સામે પણ સવાલ ઉભા થઇ રહ્યા છે. શું વિકાસના નામે બાળકોનું શોષણ અનિવાર્ય છે? જો સરકારી કામોમાં જ બાળમજૂરોનો ઉપયોગ થતો હોય, તો ખાનગી એકમો પર લગામ કોણ લગાવશે ? શું બેદરકાર કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવશે? કામ કરાવતા નથીબાળકો લાવ્યા હશે પણ કામ કરાવતા નથી. 18 વર્ષવાળા પણ બાળકો જેવા જ લાગે છે એટલે કન્ફર્મ કરજો સાવ બાળકો તો ન જ હોય.> હાર્દિકભાઈ, આસિ. એન્જિનિયર, સ્ટેટ હાઇવે
લોકોમાં પ્રસરી રાહત:મીંઢાબારી-બોરીયાછ રોડની કામગીરીથી 7444 લોકો ગેલમાં, લોકોના સમયની બચત થશે
વાંસદા તાલુકાના પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા મીંઢાબારી, ગંગપુર બોરીયાછ રોડની કામગીરી શરૂ થતા અંદાજિત 7444 લોકોને લાભ મળશે. વરસાદની સિઝનમાં આ રસ્તો 10થી 12 બંધ રહેતો હતો, જેમાંથી હવે છૂટકારો મળશે. જેને પગલે આ વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો. વાંસદા તાલુકામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ નવસારીની પેટા વિભાગીય કચેરી વાંસદા દ્વારા પીએમજીએસવાય વર્ષ- 2025-26 હેઠળ મંજુર થયેલ મીઢાબારી, ગંગપુર, બોરીયાછ રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ રસ્તો 2.5 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. આ રસ્તો વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામો મીઢાબારી, ગંગપુર અને બોરીયાછ ગામને તથા એક બાજુ વાપી-શામળાજી (એનએચએઆઇ) મુખ્ય માર્ગને જોડે છે. વાંસદા તાલુકાના મીઢાબારી, ગંગપુર ગામની વસ્તી 7444 લોકોને લાભ થશે. રોડના નિર્માણમાં આઇઆરસીના ધોરણો મુજબ ઉચ્ચ ગુણવત્તાવાળા બીટ્યુમિનસ મેકાડમ અને સેમી ડેન્સ બીટ્યુમિનસ કોંક્રિટના સ્તરો તથા અસ્ફલ્ટ પેઇન્ટિંગનો ઉપયોગ કરાશે. આ રસ્તા પર ડુબાઉ કોઝવેની જગ્યાએ નવું બોક્સ કલ્વર્ટ બનાવાશે, જે ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન ઓવરટોપિંગના કારણે રસ્તો 10થી 12 કલાક સુધી બંધ રહેતો હતો, જે બોક્સ કલ્વર્ટ બનવાથી રસ્તો બારમાસી ચાલુ રહેશે. આ રસ્તો બનવાથી વાંસદા તાલુકાના ડુંગરાળ વિસ્તારની રસ્તાની કનેક્ટિવિટીમાં સુધારો થશે અને ગ્રામજનોને ખેતપેદાશોના વહન તથા તાલુકાએ કચેરી કામ અને આરોગ્ય સુવિધાઓ માટે, વિદ્યાર્થીઓને શાળા તથા કોલેજ જવા માટે સરળતા રહેશે. આ રસ્તામાં જરૂરિયાત મુજબ રોડ સેફ્ટી અને સાઇનબોર્ડ લગાવાશે, જે અકસ્માત નિવારણ માટે ઉપયોગી બનશે. આ રોડની સપાટી ખરાબ હાલતમાં હોવાથી અને નાગરિકોની સુવિધા માટે તેને નવો બનાવવાની જરૂરિયાત હતી. આ કામગીરી પૂર્ણ થયા પછી ટ્રાફિકની અવરજવર સરળ બની રહેશે તથા સમયની બચત થશે જેને લઈ આ વિસ્તારના લોકોમાં આનંદની લહેર ફેલાઇ હતી.
બિરસા સેનાના આગેવાનો ધરણા પર ઉતર્યા:કેવડીમાં ખ્રિસ્તી ન હોવા છતાં નાતાલ ઉજવણીની પરવાનગી અપાતા વિવાદ
વાંસદા કેવડી ગામમાં ખ્રિસ્તી ન હોવા છતાં નાતાલ પર્વની ઉજવણીની પરવાનગી આપતા મામલતદાર કચેરીએ બિરસા સેનાના આગેવાનોએ ધરણાં પર બેસી ગયા હતા. પરવાનગી રદ ન થાય ત્યાં સુધી ધરણાં કરવાની ચીમકી ઉચ્ચારી હતી. મામલતદાર અને અન્ય કચેરીઓમાં જે ગામમાં ખ્રિસ્તી ધર્મના વ્યક્તિઓ રહેતા હોય એવા લોકો સિવાય બીજા કોઈને નાતાલ પર્વની ઉજવણી પરવાનગી આપશો નહી તેમ છતાં મામલતદાર કચેરીએથી વાંસદાના કેવડી ગામે કોઇ કોઈ ખ્રિસ્તી સમાજનો વ્યક્તિ ન હોવા છતાં મામલતદાર કચેરીએથી પરવાનગી આપવામાં આવતા બિરસા સેનામાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. તેઓ જણાવ્યું હતું કે વાંસદા તાલુકામાં ધર્મપ્રચારના નામે આદિવાસી સમાજની ઓળખ, પરંપરા અને આસ્થાઓ પર ખુલ્લેઆમ હુમલો કરવામાં આવી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. કેટલાક તત્વો દ્વારા લાલચ, ભ્રામક પ્રચાર અને દબાણ દ્વારા આદિવાસી સમાજને તેમના મૂળ ધર્મથી વિમુખ કરવાની ઘૃણાસ્પદ કોશિશ ચાલી રહી છે, જેને લઈ સમગ્ર તાલુકામાં આક્રોશ ફાટી નીકળ્યો છે. આદિવાસી સમાજના આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આ પ્રવૃત્તિ માત્ર ગેરકાયદે જ નથી, પરંતુ આદિવાસી સમાજના અસ્તિત્વ પર સીધો હુમલો છે. આ મામલે આદિવાસી સમાજ દ્વારા વાંસદા મામલતદાર કચેરીમાં લેખિત રજૂઆત કરી તંત્રને કડક ચેતવણી આપી છે. અરજીમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જો તાત્કાલિક તપાસ કરીને દોષિત તત્વો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો આદિવાસી સમાજ શાંતિપૂર્ણ નહીં પરંતુ ઉગ્ર આંદોલન માટે મજબૂર બનશે. આદિવાસી સમાજે સ્પષ્ટ કરી દીધું છે કે જરૂર પડશે તો દેવભૂમિ વાંસદામાં રસ્તા પર ઉતરીને ઉગ્ર વિરોધ નોંધાવાશે અને સમગ્ર ઘટનાની જવાબદારી તંત્રની રહેશે. જેથી સોમવારે બિરસા સેનાના આગેવાનોએ મામલતદાર કચેરીના પરિસરમાં ધરણા ઉપર બેસી ગયા હતા અને જ્યાં સુધી પરવાનગી કેન્સલ કરવામાં નહી આવે ત્યાં સુધી ધરણા કાર્યક્રમ ચાલુ રહેશે એવી ચીમકી પણ આપી હતી.
દક્ષિણ ગુજરાત ચીખલી-ગણદેવી વિભાગ ટ્રક ઓનર્સ એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી રેતી-કપચી સહિત ખનિજ વહન કરતા વાહનોમાં નેટવર્કની સમસ્યાના કારણે જીપીએસ બંધ થઈ જવાના કિસ્સામાં 24 કલાક માટે રોયલ્ટી બંધ કરી દેવાના તઘલખી નિર્ણયથી વાહન માલિકોને થતા અન્યાય અને આર્થિક નુકસાનીમાં કાયમી નિરાકરણ માટે માંગ કરવામાં આવી છે. ચીખલી-ગણદેવી વિભાગ ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્રસિંહ પરમાર, ઉપપ્રમુખ પરેશભાઈ દેસાઇ, ખજાનચી તુષારભાઇ લાડ સહિતની આગેવાનીમાં મામલતદાર, જિલ્લા કલેકટર, મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી સહિતનાને કરેલ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે રેતી, કપચી, મેટલ સહિતના ખનીજ વહન કરતા અમારા વાહનો ડાંગ, છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં પણ જતા હોય છે. એવામાં નેટવર્કની સમસ્યાના કારણે ઘણીવાર જીપીએસ બંધ થઈ જતું હોય છે ત્યારે વાહને નિયત રૂટ પૂરો કર્યો નથી તેમ માની 24 કલાક માટે સંબંધિત વાહનોની રોયલ્ટી બંધ કરી દેવાતા રોયલ્ટી નીકળતી નથી. આ સ્થિતિમાં વાહનો મૂકી રાખવા પડે છે અને તેવી સ્થિતિમાં તેમને મોટાપાયે આર્થિક નુકસાન થઇ રહ્યું છે. તેમના મોટાભાગના વાહનોના લોનના હપ્તા ચાલતા હોય છે. આ ઉપરાંત ડીઝલ, ડ્રાઇવર-ક્લીનરનો પગાર, મેઇન્ટેનન્સ સહિતના ખર્ચા પણ લાગતા હોય છે. રોયલ્ટી બંધ કરી દેવાના સંજોગોમાં પૂરો મહિનો ધંધો ન કરી શકતા હપ્તા ચુકી જવા સાથે વ્યાજ પેનલ્ટીનું ભારણ પણ વધતું હોય છે. કાર્ટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા વાહન માલિકો વાહનમાં પ્રોસેસિંગ થયેલ માલસામાન (ખનીજ)નું વહન કરતા હોય છે ત્યારે ડિલિવરી ચલણથી કામ ચલાવાય તે જરૂરી જણાઇ રહ્યું છે. ઘણાં વિસ્તારોમાં નેટવર્કની સમસ્યા હોય છે. ઉપરાંત સર્વર ડાઉન થવાની પણ ઘણીવાર સમસ્યા સર્જાતી હોય છે અને આ બાબતો તેમના નિયંત્રણમાં હોતી નથી ત્યારે નેટવર્ક કે અન્ય ટેકનિકલ કારણોસર જીપીએસ બંધ થવાની સ્થિતિમાં રૂટ પૂરો કર્યો નથી તેમ માની 24 કલાક માટે રોયલ્ટી બંધ કરી દેવાની બાબત અમારા માત્ર અન્યાય ભરી છે અને અમને મોટો આર્થિક ફટકો સહન કરવા પડી રહ્યો છે. આ બાબતે ફેર વિચારણા કરી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી હતી.
રામકથાના શ્રીગણેશ કરાયા:ખેરગામના પાટી ગીતા મંદિર લાભાર્થે પ્રફુલ શુકલની 887મી રામકથાનો મંગલ આરંભ
ગીતા મંદિર માધ્યમિક અને ઉચ્ચ. માધ્યમિક શાળા પાટીના લાભાર્થે ઘી. ડી. ઈ. ઈટાલીયા હાઈસ્કૂલના મેદાનમાં કથાકાર પ્રફુલભાઇ શુક્લની 887 મી રામકથાનો મંગલમય આરંભ થયો હતો. આ પૂર્વે નવ દિવસીય રામકથાના પ્રથમ દિવસનો દશાંશ યજ્ઞ સંપન્ન થયો હતો. કથાના મુખ્ય આયોજક વાલજીભાઈ સોલંકીના નિવાસ્થાનેથી પોથીયાત્રા પ્રસ્થાન થઇ હતી.પ્રણવભાઈ સોલંકી, ડો. જીજ્ઞાબેન સોલંકી અને પરિવાર દ્વારા પોથી તેમજ વ્યાસ પૂજન કરવામાં આવ્યું હતુ. કથાનુ મંગલમય દીપ પ્રાગટ્ય કથાના મુખ્ય યજમાન કામદાર નેતા આર. સી. પટેલ, પ્રો. ગજાનંદભાઈ પટેલ, એડવોકેટ નરેન્દ્રભાઈ ભટ્ટ, હર્ષદભાઈ પંડ્યા વગેરે દ્વારા કરવામાં આવ્યું હતુ.પ્રફુલભાઇ શુક્લ એ વ્યાસ પીઠ પરથી કહ્યું હતુ કે.જેનામાં માનવત્વ નિર્માણ થયું હોય એના માટે રામ કથા છે માઁ પાર્વતી શ્રદ્ધા છે જયારે ભગવાન મહાદેવ એ વિશ્વાસ છે’ રામકથા એ આંતર સુખ માટેની કથા છે. કથાકાર નરેશભાઈ રામાનંદી દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતુ. આચાર્ય કિશન દવે દ્વારા વેદ મંત્રોચાર કર્યા હતા.કથાનો સમય દરરોજ બપોરે 2:30 થી 5:30 નો રાખ્યો છે. કથા માટે પ્રિ. રાકેશભાઈ પટેલ, મુકેશભાઈ આહીર, હરિચંદ ભાઈ જાધવ, રાકેશભાઈ ભીમસેમ, ધર્મેશભાઈ પટેલ, ગીતાબેન પટેલ, મહેશ્વરીબેન પટેલ, આકૃતિબેન પટેલ, નિમિષાબેન પટેલ અને રામકથા સેવા સમિતિ જેહમત ઉઠાવી છે.
વાહનચાલકો થયા પરેશાન:ખેરગામના બહેજ મંદિરથી તળાવ ફળીયાને જોડતો માર્ગથી ચાલકો ત્રાહિમામ
ખેરગામ તાલુકાના બહેજ ગામમાં રૂપા ભવાની મંદિરથી તળાવ ફળીયા તરફ જતા મુખ્ય માર્ગની હાલત લાંબા સમયથી અત્યંત ખરાબ બની છે. રસ્તાનું ન તો નવીનીકરણ કરવામાં આવ્યું છે અને ન જ યોગ્ય સમારકામ થતું હોવાથી માર્ગ પર મસમોટા ખાડા પડી ગયા છે તેમજ કપચી બહાર નીકળી આવતાં વાહનચાલકો માટે આ માર્ગ જોખમી સાબિત થયો છે. રસ્તાની ખસ્તાહાલ સ્થિતિને કારણે બેવડાં વાહનો પસાર થવામાં મુશ્કેલી પડે છે. માર્ગ બિસ્માર હોવાથી વાહન ક્યાં ચલાવવું એ પણ સમજાતું નથી. ખાસ કરીને રાત્રી દરમિયાન રસ્તો સાંકડો હોવા ઉપરાંત બંને બાજુ ઝાડી-ઝાંખરા ઊગેલા હોવાથી વાહનચાલકો વારંવાર ફસડાઈ પડે છે. સામેથી મોટું વાહન આવી જાય તો સાઈડ લેવા સુધીની જગ્યા ન હોવાના કારણે અકસ્માતનો ભય મંડરાય છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર લાખો રૂપિયાનાં ખર્ચે બનેલા રસ્તા થોડા જ સમયમાં ખખડધજ બની જાય છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે રસ્તાનું કામ ગુણવત્તાવિહિન થતું હોવાનું લોકો આક્ષેપ કરી રહ્યા છે. વારંવાર રજૂઆતો છતાં સ્થાનિક નેતા કે સંબંધિત તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવાતા નથી. રસ્તાના રીપેરીંગની વાત તો દૂર, તેની તરફ ધ્યાન પણ આપવામાં આવતું નથી. આ માર્ગ પર કોઈ બીમાર વ્યક્તિને સારવાર માટે લઈ જવી પડે તો સ્થિતિ વધુ દયનીય બની જાય છે. રસ્તો એટલો ખરાબ છે કે એમ્બ્યુલન્સ પણ સરળતાથી પહોંચી શકતી નથી. રસ્તાની બંને બાજુ વધેલી ઝાડી-ઝાંખરાની સફાઈ ન થવાને કારણે સમસ્યા વધુ વિકટ બની છે. ગ્રામજનોએ સંબંધિત વિભાગના અધિકારીઓને ઘોર નિદ્રામાંથી જાગી સ્થળ પર જઈને સ્થિતિનું નિરીક્ષણ કરી વહેલી તકે માર્ગનું નવીનીકરણ કરવા ઉગ્ર માંગ ઉઠાવી છે.
માતાની ન્યાય માટે એસપીને ગુહાર:પેટે પાટા બાંધીને લંડન મોકલ્યો તે NRI પુત્રની માતાને મારવાની ધમકી
જે પુત્રને પેટે પાટા બાંધીને અને ઉછીના રૂપિયા લાવી વિદેશ મોકલ્યો હતો, તે જ પુત્ર આજે સદ્ધર થયા બાદ માતાની જવાબદારી ઉઠાવવાને બદલે તેમને મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. નવસારીની એક સોસાયટીમાં રહેતી માતાએ તેના એનઆરઆઇ દીકરા વિરૂદ્ધ લેખિત ફરિયાદ આપી છે તેમાં ડીએસપીને જણાવ્યું છે કે, તેમનો NRI પુત્ર લંડનમાં નોકરી કરે છે અને માસિક 4 લાખ રૂપિયાની કમાણી કરે છે. પતિના અવસાન બાદ માતાએ તમામ બચત પુત્ર પાછળ ખર્ચી નાંખી હતી, તેમ છતાં, વિદેશથી પરત આવેલો પુત્ર માતાને ભરણ-પોષણ માટે એક રૂપિયો પણ આપતો નથી. જ્યારે મહિલાએ પોતાની બિમારી અને ઘર ખર્ચ માટે પતિના મકાન વેચવાની વાત કરી ત્યારે પુત્ર ઉશ્કેરાઈ ગયો હતો. તેણે માતાને ગાળો આપી, તને મારી નાખતા વાર નહીં લાગે તેવી ધમકી આપી હોવાનો આક્ષેપ કર્યો છે. વધુમાં, માતાએ આક્ષેપ કર્યો છે કે પુત્ર તેમની પુત્રી (બહેન) સાથે પણ ઝઘડો કરી ઉશ્કેરણી કરે છે. આરોપી પુત્ર હાલમાં તેની સાસરીમાં રોકાયેલ છે અને ટૂંક સમયમાં વિદેશ ભાગી જવાની ફિરાકમાં છે. વૃદ્ધાએ ન્યાયની માંગ સાથે પોલીસને વિનંતી કરી છે કે માથાભારે સ્વભાવ ધરાવતા પુત્ર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેમને રક્ષણ પૂરું પાડવામાં આવે.
રોડ સાયકલિંગ સ્પર્ધામાં સુંદર પ્રદર્શન:જિલ્લાનું ગૌરવ વધારતી ટ્વિન્સ બહેનો આલિયા- આરીયા પટેલ
રાજ્યકક્ષાની એસજીએફઆઈ શાળાકીય અંડર–14, 17 અને 19 સાયકલિંગ રોડ સ્પર્ધા રવિવારે સુરત ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં અંડર–14 ગર્લ્સ કેટેગરીમાં વલસાડની આરજેજે હાઈસ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં ધો.–7માં અભ્યાસ કરતી ટ્વિન્સ બહેનો આલિયા પટેલ અને આરીયા પટેલે ભાગ લીધો હતો. રોડ સાયકલિંગ સ્પર્ધામાં આલિયા પટેલે સિલ્વર મેડલ મેળવ્યો હતો, જ્યારે આરીયા પટેલે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ઉપરાંત ટ્રેક સાયકલિંગ સ્પર્ધામાં આરીયા પટેલે સિલ્વર મેડલ જીતી શાળા સાથે વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ બંને ટ્વિન્સ બહેનો અગાઉ બે વખત નેશનલ કક્ષાની સ્પર્ધામાં પણ ભાગ લઈ ચૂકી છે. આલિયા- આરીયા ઝારખંડના રાંચી ખાતે યોજાનાર નેશનલ કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.
ભાસ્કર વિશેષ:ધામણીમાં શારદાદેવીની જન્મ જયંતિ સેવાયજ્ઞથી ઉજવાઇ
ધરમપુરનાં ધામણીમાં વિશ્વજનની માં શારદાદેવીના જન્મજયંતીના ઉપલક્ષ્યમાં જન્મજયંતીની સેવાયજ્ઞના સથવારે થયેલી ઉજવણીમાં શારદામઠના પ્રવાજિકા પ્રશાંતપ્રાણા માતાજીના હસ્તે નવનિર્મિત ધ્યાનખંડનું લોકાર્પણ વૈદિક મંત્રોચ્ચારના સથવારે કરવાની સાથે ધામણી 250 બહેનોને સાડી વિતરણ કરાઈ હતી. ધરમપુરની શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ, સ્વામી વિવેકાનંદ સેવા કેન્દ્ર ધામણી તથા શ્રી શારદામઠ વલસાડના ઉપક્રમે આ ઉજવણી પ્રસંગે પ્રવાજિકા અનિલપ્રાણા માતાજી અને પ્રવાજિકા સત્યનિષ્ઠાપ્રાણાજી માતાજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.જે બાદ ગ્રામજનો દ્વારા ગવાયેલા ભજન - સંકીર્તનના કારણે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક રંગે રંગાઈ ગયું હતું પ્રાસંગિક પ્રવચનમાં ડો દોલતભાઈ દેસાઈએ ધામણી ગામે બનેલા ધ્યાનખંડનો ઉપયોગ વિદ્યાર્થીઓ ખાસ કરે અને દરરોજ અહીં પ્રાર્થના ધ્યાન- જાપ કરી વિદ્યાર્થીઓ ચારિત્ર્યનિર્માણ, સમાજસેવાના ગુણો વિકસાવી રાષ્ટ્રં ઘડવૈયા બને એવા નેમ રાખી વિદ્યાર્થીઓને દરરોજ ધ્યાન કરવા આહવાન કર્યું હતું. પ્રવાજિકા સત્યનિષ્ઠાપ્રાણાજી માતાજીએ ધ્યાનખંડ જઈ માં શારદાદેવી સમક્ષ પોતાના મનની વાતો કરી ત્યાંથી આંતરિક શક્તિ મેળવી મનને સકારાત્મક રીતે ખીલવવા દરરોજ સારા સારા પુસ્તકોનું અધ્યન કરવા જણાવ્યું હતું. આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ધામણી શાળાના નાના નાના ભૂલકાઓએ વિવિધ સાંસ્કૃતીક કૃતિઓ સ્વાગતગીત, વકતૃત્વ જેવા કાર્યક્રમો આપી સૌના મન મોહી લીધા હતા. પ્રવાજિકા અનીલપ્રાણા માતાજીએ સેવાયજ્ઞના કાર્યમાં માં શારદાદેવીની દિવ્યતા આજે પણ અનુભવ થાય છે. “શિવજ્ઞાને જીવસેવા” નાં ભાવથી થતા આ સેવાયજ્ઞની સરવાણી અવિરત કાયમીરીતે વહેતી રહે એવા ભાવ વ્યકત કરી ઉપસ્થિત 250 પરિવારોને સાડી અને મફલર વિતરણ કર્યા હતા. આ પ્રસંગે ધ્યાનખંડની જમીન દાનમાં આપનાર દાતાનું સન્માન કરવમાં આવ્યું હતુ. ગામના તમામ આગેવાનોએ તમામ વ્યવસ્થાની કાળજી લીધી હતી, આ કાર્યક્રમમાં વલસાડ મુંબઈ અને ધરમપુરના ભક્તગણો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ નવીનભાઈએ આટોપી હતી.
શ્રીરામ કથાનું કરાયું આયોજન:શ્રી રામેશ્વરમ તીર્થ સ્થળે સીતારામ પરિવાર દ્વારા શ્રીરામ કથાનું આયોજન
દક્ષિણ ગુજરાત સીતારામ પરિવાર દ્વારા શ્રીરામ કથા નું આયોજન દક્ષિણ ભારતના શ્રી રામેશ્વરમ તીર્થ સ્થળે કરાયું છે.ભારત સેવા શ્રમ સંઘ. શ્રી રામેશ્વરમ મુકામે શ્રી મારુતિ ધામ રામેશ્વરથી પોથી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. 18થી 26 ડિસેમ્બર દરમ્યાન શ્રી રામ કથામૃતનુ રસપાન ,પ્રસિદ્ધ કથાકાર પૂ.છોટે મોરારિ બાપુ ( શ્રી રામ કૃષ્ણ શાસ્ત્રીજી . કૂંઢેલી વાળા) કરાવી રહ્યા છેમ સંત શ્રી હર્ષદભાઈ બી જોશી,નૈરોબી વાળા ,રાંદલ એસ્ટ્રો લોજર.સુરત તથા આશિષ મહારાજ અને સ્થાનિક સંતો ઉપસ્થિત રહ્યા હતા. ધરમપુર,કાંગવી,ખાનપુર ,વાપી. નવસારી, ઓઝર, કાકડમતી, મહુવા, સુરતના સેવાભાવી ભક્તો સાથે 150 જેટલા ભક્તો કથાનું શ્રવણ કરી રહ્યા છે. આ કથાના મુખ્ય યજમાન વિનોદભાઈ પટેલ જંબુસર, અર્જુનભાઈ સુરત, જેસિંગભાઈ વાંકલ તથા નરસિંહભાઈ ગાયકવાડ વાંસદા, ન્યૂઝીલેન્ડનાં નરેન્દ્રભાઈ ચૌહાણ અને લાલુભાઇ જોશીજી દ્વારા તમામ સેવાનુ આયોજન કરવામાં આવ્યું છે.
ઠગાઈ:કરમબેલા સર્વિસ સ્ટેશનના માલિક સાથે મેનેજરની 10 લાખની ઠગાઈ
કરમબેલામાં સર્વિસ સ્ટેશનના મેનેજરે દોઢ માસમાં રિપેરમાં આવતા ટ્રકોના જોબ કાર્ડ બનાવ્યા વગર ટ્રક માલિકોને જુદા જુદા સ્પેરપાર્ટ નાંખી પોતાના ઉઝવન સ્મોલ ફાઈનાન્સમાં પૈસા મેળવી માલિક સાથે રૂ.10,03488ની છેતરપિંડી કરતા ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઉમરગામના કરમબેલીમાં રાહુલ મોટર્સ સર્વિસ સ્ટેશન નામની ટ્રક સર્વિસ સ્ટેશનના ઓનર નવલસિંગ ઇન્દ્રજ સિંગ યાદવ રે, વાપીએ સર્વિસ સ્ટેશનમાં મેનેજર સામે છેતરપિંડીની ફરીયાદ નોંધાવી હતી. 4 મે 2025 ના રોજ સંતોષ યાદવની ટ્રક આવતા ટેક્નિશિયન પાસે ચેક કરાવતા એન્જિન ખરાબ હોવાનું જણાવી નવું નાખવા માટે કહેતા એડવાન્સ પેટે રૂ.1 લાખ માગ્યા હતા. પરંતુ મેનેજરે પેમેન્ટ આવી જવાની ખાતરી આપતા નવા એન્જિનનો ઓર્ડર આપ્યો હતો. ટ્રક રિપેર પેટે રૂ.3,54147નો ખર્ચ હતો. જે પૈકી 2,50000 ટુકડે ટુકડે જમાં કરાવતા બાકીની રકમ માગી હતી. ટ્રક માલિકે રૂ.85000 મેનેજર સાગર પાંડુરંગ બીલીયેને આપી રૂ.19147 બાકી હોવાનુ જણાવતાં ભાંડો ફુટ્યો હતો. સર્વિસ સ્ટેશનમાં તપાસ કરતા મેનેજર સાગર પાંડુરંગ બિલેયને સ્ટોરકિંપર પિનલ પટેલે 3 જાન્યુ 2024થી 1 જુલાઈ 2025ના ગાળામાં 59 ટ્રક માલિકો પાસે જોબ કાર્ડ બનાવ્યા વિના રિપેર અને સ્પેરપાર્ટના પૈસા લઈ ઉઝવન સ્મોલ ફાઇનાન્સમાં જમા લીધા હતા.રૂ.10,03488 ની છેતરપિંડી કરતા મેનેજર અને સ્ટોરકીપર સામે ઓર્નર નવલસિંગ યાદવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ખખડધજ ઇમારતોને જમીનદોસ્ત કરાઈ:વલસાડમાં ખંડેર બનેલ સરકારી એપાર્ટમેન્ટોનું ડિમોલિશન કરાયું
વલસાડ શહેરના તિથલ રોડ પર ગવર્નમેન્ટ કોલોનીમાં સરકારી કર્મચારીઓના નિવાસ માટે બનાવવામાં આવેલા ત્રણ માળના મકાનો પૈકી 5 થી 6 બિલ્ડિંગો અત્યંત ખખડધજ થઇ ગયા હતા. આ બિલ્ડિંગોવર્ષો જૂના બાંધકામના કારણે રહેવા લાયક પણ નહિ રહ્યા હતા. આ બિલ્ડિંગો 4 વર્ષ અગાઉ તો લગભગ ખાલી થઇ ગયા હતા. જે નજીકના સરકારી કર્મચારીઓના રહેઠાણો અને દક્ષિણે સ્લમ વિસ્તારના બાળકો સહિત લોકો માટે જોખમી બની ગયું હતું. પરંતું તેમાં કોઇ રહી શકે તેમ ન હોય સરકારી કર્મચારીઓના ફલેટો ખાલી થઇ ગયા હતા. આ સંકુલનું સંચાલન કાર્યવાહી અને સંભાળ રાખનાર આરએન્ડબી વિભાગે આ પ્રકારના બિસ્માર બિલ્ડિંગોમાં રહેઠાણો ફાળવવાનું બંધ કરી દીધું હતું. વર્ષો સુધી તેમાં કોઇ રહેતું ન હતું.ખખડી ગયેલા એપાર્મેન્ટોનું માળખું દૂર કરવા આરએન્ડબીબાંધકામ વિભાગે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરતાં સરકારી કર્મચારીઓ અને આસપાસના રહીશોને રાહત મળી છે. બંધ મકાનો અસામાજિકનો અડ્ડો બનેલો વલસાડની સરકારી વસાહતના જૂના જોખમી 5 થી 6 બિલ્ડિંગો પાછળ વિસ્તારમાં ધોબીતળાવ રોડને લાગૂ હદ સુધીના વિસ્તારમાં આવેલી હતી. આ બિલ્ડિંગો સમય જતાં જર્જરિત થઇ જતાં આરએન્ડબી દ્વારા તે મકાનો ખાલી કરાવી દેવાયા હતા.જેથી વર્ષોથી આ બિલ્ડિંગો ખાલી હતી.જેના કારણે રાત્રે અસામાજિક તત્વોનો ઘણીવાર અડ્ડો જમાવી દેતાં સ્થાનિક કોલોનીના રહીશોમાં પણ ભારે રોષ હતો.રાત મધરાત અમુક તત્વો આવા અવાવરૂ મકાનોમાં જુગાર રમતા હોવાની રાવ ઉઠતી રહી હતી. લાંબા સમયથી કાર્યવાહી ચાલતી હતીવલસાડની સરકારી વસાહતોમાં જૂના અને જર્જરિત બિલ્ડિંગોને દૂરકરવા માટે વિભાગ દ્વારા લાંબી કવાયત જારી રાખવામાં આવી હતી.5થી 6 બિલ્ડિંગોને રહેવા લાયક બનાવવા માટે અગાઉ મરામતનીકામગીરી પણ કરવામાં આવી હતી,પરંતું ટૂંક સમયમાં બિલ્ડિંગો જૂનીથતાં જોખમી બની ગઇ હતી.જેના ડિમોલિશન માટે અધિકારીઓ સાથેપરામર્શ કરી જોખમી બનેલી ઇમારતો દૂર કરી દેવાની કાર્યવાહી તંત્રદ્વારા હાથ ધરવામાં આવી છે.
ખાતમુહૂર્ત:અમરેલી જિલ્લામાં કૃષિ રાહત પેકેજ અંતર્ગત575 કરોડની સહાય ખેડૂતોના ખાતામાં જમા થઈ
અમરેલી તાલુકાના ચાડિયા–લાપાળિયા રોડ પર રૂ. 2.70 કરોડના ખર્ચે વિવિધ પુલો પર સ્લેબ ડ્રેઈન કામનું ખાતમુહૂર્ત રાજ્યના ઉર્જા તથા કાયદો-ન્યાય, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું. આ 16 કિલોમીટર લાંબા માર્ગ પર આવેલા તમામ પુલો પર કુલ 4 સ્લેબ ડ્રેઈન તથા 11 પાઈપ ડ્રેઈનનું નિર્માણ કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થતાં ચોમાસામાં પાણી ઓવરટોપીંગ થવાથી માર્ગ બંધ થવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે અને વાહન વ્યવહાર સરળ અને સુરક્ષિત બનશે. આ પ્રસંગે વેકરિયાએ જણાવ્યું હતું કે, “આગામી સમયમાં અમરેલી વિધાનસભા વિસ્તારના એકપણ ગામમાં વરસાદના કારણે રોડ બંધ ન થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. ચોમાસામાં ખાન ખીજડીયા વિસ્તારમાં વરસાદી પાણીમાં તણાઈ જવાથી થયેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને ધ્યાનમાં લઈ સમગ્ર અમરેલી વિધાનસભા વિસ્તારમાં આવા સંવેદનશીલ સ્થળોનો સર્વે કરી કામ શરૂ કરાયા છે. અમરેલી શહેરને ફરતો નવો રાધેશ્યામ બાયપાસ રૂ. 272 કરોડના ખર્ચે બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ બાદ રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું હતું. જેમાંથી અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં આશરે રૂ. 575 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્ય શુંભુભાઈ મહિડા, તાલુકા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ કાનપરિયા, સભ્ય આશિષભાઈ સહિતના હાજર રહ્યાં હતાં.
દુર્ઘટના:ગેસનો ચુલો પેટાવતા ઓચિંતા ભડકાથી વૃદ્ધાનું દાઝી જતા મોત
અમરેલી તાલુકાના માંગવાપાળમાં ગેસનો ચુલો પેટાવતા જ ઓચિંતા ભડકો થતા 60 વર્ષિય વૃદ્ધા ગંભીર રીતે દાઝી જતા મોત નિપજ્યું હતું. આ ઘટનાથી પરિવારમાં શોક પ્રસર્યો હતો. આ અંગે અમરેલી તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. અમરેલીના માંગવાપાળના વતની અને હાલ સુરતમાં હિરાકામ કરતા કૌશિકભાઈ સવજીભાઈ ગજેરાએ તાલુકા પોલીસને જણાવ્યું હતું કે માંગવાપાળ ખાતે રસીલાબેન સવજીભાઈ ગજેરા (ઉ.વ.60) 21 ડિસેમ્બરના રોજ ગેસનો ચુલો પેટાવ્યો હતો. તે દરમિયાન ગેસના ચુલામાં ઓચિંતા ભડકો થયો હતો. જેના કારણે રસીલાબેન ગજેરા ગંભીર રીતે દાઝી ગયા હતા. તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન રસીલાબેન ગજેરાનું મોત નિપજ્યું હતું. વૃદ્ધાના મોતથી પરિવાર અને માંગવાપાળમાં શોક પ્રસર્યો હતો. આ અંગે અમરેલી તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા હેડ કોન્સ્ટેબલ કે.એસ.ટીલાવત બનાવ અંગે વધુ તપાસ ચલાવી રહ્યા છે.
ઝુંબેશ:પ્લાસ્ટીક ઘાસચારા વેચાણ પર ધોંસ, 108 સામે પગલા
જામનગર મહાનગરપાલિકા ધ્વારા અલગ અલગ ટીમ મારફત શહેરમાં સિંગલ યુઝ પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચાણ કરતા ધંધાર્થીઓ તથા ગેરકાયદેસર ઘાસચારો વેંચાણ કરતા ધંધાર્થીઓનો સામે પ્લાસ્ટિક જપ્તીકરણ તથા ઘાસચારો જપ્તીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે ખાસ ઝુંબેશ અંતર્ગત ગત અઠવાડિયામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા કુલ-78 ધંધાર્થી/વેપારીઓ પાસેથી 35 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જે સાથોસાથ તંત્ર દ્વારા રૂા. 36,000ના વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવી હતી. તેમજ ગેરકાયદેસર ઘાસચારો વેંચાણ કરતા 30 ધંધાર્થીઓનો ઘાસચારો જપ્ત કરી, રૂ.15,500 નો વહીવટી ચાર્જ વસુલ લેવામાં આવ્યો હતો.અત્રે નોંધનીય છેકે, જાહેર રોડ રસ્તા પર ઘાસચારો નાખવાની પશુઓ ભેગા થવા અને ટ્રાફિકની સમસ્યા, અકસ્માત થવાનો ભય રહેતો હોય, જાહેર જનતાને રોડ રસ્તાઓ ઉપર ઘાસચારો ન નાખવા અપીલ કરવામાં આવી છે.જયારે વધુમાં જે કોઇ લોકોએ ઘાસચારો દાન કરવો હોય તો જેએમસી કનેકટ એપ (JMC Connect App) મારફત દાન આપવા અથવા મહાનગરપાલિકા હસ્તકની ગૌશાળાઓ ખાતે દાન કરવા અપીલ કરવામાં આવી છે. અડધો ડઝન વિસ્તારોમાં જુદી-જુદી ટીમ ત્રાટકી મનપાની વિવિધ ટીમો દ્વારા શહેરના વ્હોરાનો હજીરા વિસ્તાર, સૂભાષબ્રિજ, એમ્યુઝમેન્ટ પાર્ક, મુળજી જેઠા ધર્મશાળા વિસ્તાર, પંચવટી ગૌશાળા સહિતના વિસ્તારોમાં સપ્તાહ દરમિયાન ડ્રાઇવ અંતર્ગત જુદા જુદા સ્થળે ઘાસચારાનુ અનઅધિકૃત વેચાણ કરવા અઢી ડઝન ધંધાર્થીઓ પાસેથી ઘાસચારો જપ્ત કરવામાં આવ્યો હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ.જે સાથે સબંધિતો પાસેથી વહીવટી ચાર્જની પણ વસુલાત કરાઇ હતી.
વાતાવરણ:જામનગરમાં તાપમાનનો પારો છેલ્લા 24 કલાકથી 16 ડિગ્રીએ સ્થિર રહ્યો
જામનગર શહેરમાં છેલ્લા કેટલાય દિવસથી તાપમાનમાં સતત ઉતાર ચઢાવવાનો દોર જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ તાપમાનનો પારો નીચે સરકવાને બદલે ઉપર ચડી રહ્યો છે જેને કારણે ઠંડી નું જોર ઘટી રહ્યું છે. જેને કારણે વહેલી સવારે અને મોડી રાત્રે વાતાવરણમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે તો બપોર દરમિયાન સૂર્યનારાયણ નો હળવો મિજાજ જોવા મળતા શહેરીજનો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. જામનગરમાં છેલ્લા 24 કલાકમાં કોઈપણ જાતના ફેરફાર વગર લઘુતમ તાપમાન નો પારો 16 ડીગ્રી એ સ્થિર રહ્યો છે જ્યારે આંશિક રીતે મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે જોકે મહત્તમ તાપમાન 30 ડિગ્રી આજુબાજુ રહેતા બપોર દરમિયાન શહેરીજનો ગરમી નો અનુભવ કરી રહ્યા છે બેવડી ઋતુની અસર શહેરીજનોના સ્વાસ્થ્ય પર પડી રહી છે જેને શરદી, ઉધરસ, તાવ, ગળામાં દુખાવો, નાક વહેવું જેવી સમસ્યાઓ વધારો જોવા મળી રહ્યો છે. સોમવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 76 ટકા રહ્યો હતું જ્યારે પવન ગતિ 3 કિલોમીટર પ્રતિ કલાકની હતી.
શિતકાલ:જામનગરમાં હજુ શિયાળો બરાબર જામ્યો નથી ગરમ વસ્ત્રોની બજારમાં ગ્રાહકોની પાંખી હાજરી
જામનગરમાં શિયાળાની મોસમ શરૂ થઈ હોવા છતાં હજી સુધી ઠંડી જોઈએ તેટલી જામી નથી. ખાસ કરીને દિવસ દરમિયાન તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેતા લોકોમાં ગરમ કપડાં ખરીદવાની જરૂરિયાત ઓછી અનુભવાઈ રહી છે. તેના પરિણામે દર વર્ષે શિયાળામાં શહેરમાં વિશેષ આકર્ષણ બનતું તિબેટીયન બજાર આ વર્ષે મંદ ઘરાકીનો સામનો કરી રહ્યું છે. દર વર્ષે તિબેટીયન વેપારીઓ ઓક્ટોબર મહિનામાં વેપાર-ધંધા માટે જામનગર પહોંચે છે અને જાન્યુઆરીના અંત સુધી અહીં રહીને વેપાર કરે છે. આ દરમિયાન તેઓ સ્વેટર, જેકેટ, શૉલ, મફલર, કૅપ સહિતના વિવિધ પ્રકારના ઊનાળા કપડાં લઈને આવે છે. ખાસ વાત એ છે કે દર વર્ષે સ્વેટરમાં નવી ડિઝાઇન, અલગ અલગ રંગો અને વિવિધ વેરાઈટી ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેના કારણે સામાન્ય રીતે બજારમાં સારી ભીડ જોવા મળે છે. પરંતુ આ વર્ષે ઠંડીનો પૂરતો અસરકારક માહોલ ન બનતા ગ્રાહકો ખરીદી ટાળી રહ્યા છે. વેપારીઓના જણાવ્યા અનુસાર ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ભાવમાં કોઈ ખાસ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભાવ યથાવત રાખવા છતાં ઘરાકી ઓછી રહેતા વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી છે. સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં તિબેટીયન બજારમાં ભારે ચહલપહલ જોવા મળે છે, પરંતુ હાલ સ્થિતિ વિપરીત છે. વેપારીઓને આશા છે કે જો આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડી વધશે તો લોકો ફરીથી ગરમ કપડાંની ખરીદી તરફ વળશે અને તિબેટીયન બજારમાં ફરીથી રોનક છવાશે.
બેદરકારી:તંત્રની બેદરકારીથી 544ની ક્ષમતા રેનબસેરામાં માત્ર 119ને આશરો
જામનગર મહાનગરપાલિકાની બેદરકારીના કારણે લાખોના ખર્ચે બનેલા 544ની કેપીસીટીવાળા બે રેન બસેરા (શેલ્ટર હોમ)માં માત્ર 119 લોકો સહારો લઈ રહ્યા છે. તો રાત્રિના શહેરના માર્ગો ઉપર ઠંડીમાં લોકો ઠુંઠવાઈ રહ્યા છે. શેલ્ટર હોમમાં ટીવી સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં ખાલીખમ પડ્યા છે. જામ્યુકો તંત્ર દ્વારા શિયાળા, ઉનાળા અને ચોમાસામાં ઘર વિહોણા લોકોને આશરો મળી રહે, તે માટે શહેરના બેડેશ્વરમાં તેમજ હાપામાં ગરીબો માટે જામ્યુકો તંત્ર દ્વારા લાખોના ખર્ચે રેન બસેરા (શેલ્ટર હોમ) બનાવવામાં આવ્યા છે. જેમાં બેડીમાં 320 અને હાપાના શેલ્ડર હોમમાં 224 લોકોની કેપીસીટી સાથેની બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં પણ ફ્રીમાં સવારે નાસ્તો, બપોર અને સાંજે ભોજન પણ પીરસવામાં આવી છે. આવી અધ્યતન સુવિધા સાથે ઉપલબ્ધ કરાવવામાં આવેલા શેલ્ટર હોમમાં હાલ બેડીના શેલ્ટર હોમમાં 65 અને હાપા શેલ્ટર હોમમાં માત્ર 54 લોકો જ આશરો લઈ રહ્યા છે. તેમાં આશરો લેનારાઓ માટે રૂમમાં ટીવી સહિતની સુવિધાઓ પણ રાખવામાં આવી છે. હાલ શિયાળા ચાલતો હોવાથી શહેરના જાહેર માર્ગો ઉપર ઘર વિહોણા લોકો રાત્રિના ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા છે. રાત્રિના ભીડ ભંજન, ટાઉન હોલ સહિતના વિસ્તારોમાં ભિક્ષુકો સહિતના લોકો રોડ ઉપર સુતા જોવા મળે છે. તેને શેલ્ટર હોમમાં આશરો અપાવવો જોઈએ, જેથી શહેરની શોભામાં પણ વૃધ્ધિ થશે.
કાર્યવાહી:શહેરમાં દબાણ હટાવ, એક જ દિ'માં 50 પથારા-કાઉન્ટર જપ્ત
શહેરમાં જાહેર માર્ગો પર અડીંગો જમાવી ઉભા રહેતા રેંકડી ધારકો, પથારા સહિતના ધંધાર્થીઓને દૂર ખસેડવાની કાર્યવાહી સાથે એસ્ટેટ શાખા દ્વારા રવિવાર બાદ સોમવારે પણ દબાણ ઝુંબેશ યથાવત રખાઇ હતી. જેમાં રવિવારે વી માર્ટ, શરૂ સેકશન રોડ સહિતના વિસ્તારોમાં મનપા દ્વારા માર્ગો પર ખડકાયેલા પથારા-કાઉન્ટ વગેરે દૂર કરવા સાથે દબાણો હટાવાયા હતા જેમાં લગભગ 40થી 50 જેટલા કાઉન્ટર, પથારા, માલ સામાન જપ્ત કરાયો હતો. જયારે સોમવારે મીગ કોલોની નજીક ગુજરી બજાર બંધ કરાવાઇ હતી.જેમાં મનપાની એસ્ટેટ શાખા દ્વારા બે રેંકડીઓ પણ કબજે કરવામાં આવી હતી.જયારે તંત્ર દ્વારા જુદા જુદા ધંધાર્થીઓના 15 જેટલા વજનકાંટા પણ જપ્ત કરાયા હતા.
ઈમ્પેકટની મુદ્તમાં વધારો:શહેરમાં તા.16મી જૂન સુધી અરજી થઈ શકશે
અનઅધિર્કત વિકાસને નિયમિત કરવાની મુદતમાં ફરી એકવાર વધારો થયો છે જે મુદત તા.16મી જુન સુધી લંબાવાઇ હોવાથી જામનગર મહાનગરપાલિકાની હદમાં આવતા આવા બાંધકામોને નિયમિત કરવાની મુદત વધી છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ દ્વારા અનધિકૃત વિકાસને નિયમિત કરવા માટેનો વટહુકમ તા. 17મી ઓકટોબર 2022થી પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ વટહુકમ મહાપાલિકાની અધિકૃત વેબસાઈટ www.mcjamnagar.com પર પણ ઉપલબ્ધ છે. આ વટહુકમ અન્વયે અરજી કરવાની અંતિમ તા.16/12/2025 નિયત થઇ હતી. જેમાં સરકાર દ્વારા સદરહુ અરજી કરવાની સમયમર્યાદામાં તા. 16/12/2025ના નોટીફિકેશનથી વધારો કર્યા પછી હાલ અરજી કરવાની અંતિમ તા. 16મી જુન 2026 નિયત થયેલ છે તથા તા. 10/09/2024ના નોટીફિકેશનથી પાર્કિંગ અંગેની ફી ની જોગવાઈઓ સરકાર દ્વારા કરવામાં આવેલ છે. આ માટે અરજીની પ્રક્રિયા ઈ-નગર પોર્ટલ પર ઓનલાઈન તથા ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના તા. 3-2-2023ના પત્ર અન્વયે ઓફલાઈન માધ્યમથી તત્કાલિન અસરથી સ્વીકારવાનું જણાવેલ છે, જે અન્વયે ટાઉન પ્લાનિંગ શાખામાં ઓફલાઈન જેએમસીના લાયસન્સ હોલ્ડર આર્કિટેક્ટ/ એન્જિનિયર દ્વારા કરવાની રહે છે. ઉપરોક્ત બાબતે જામનગર મહાનગર પાલિકાની હદ વિસ્તારમાં આવેલ તમામ આસામીઓને તેઓ દ્વારા જો આવા કોઈ અનધિકૃત બાંધકામ કરવામાં આવેલ હોય તેમજ શહેરમાં આવેલ સ્કૂલ બિલ્ડીંગ, હોસ્પિટલ, હાઈરાઈઝ/લો-રાઈઝ રહેણાંક-બિનરહેણાંક વિગેરે પ્રકારના બાંધકામ કે જેઓ દ્વારા વિકાસ પરવાનગીથી વિરૂદ્ધનું કે વિકાસ પરવાનગી મેળવ્યા વગર કે ચેન્જ ઓફ યુઝ (હેતુફેર) કરેલ હોય તથા વપરાશ પરવાનગી મેળવ્યા વગરના આવાતમામ બાંધકામો વટહુકમમાં પ્રસિદ્ધ થયેલ નિયમોને આધિન જળવાતું હોય તો તાત્કાલિક ઈ-નગર પોર્ટલ સમય મર્યાદામાં અરજી કરવા જણાવવામાં આવે છે. સમય મર્યાદામાં અરજી ન થયેથી આવા તમામ બાંધકામોને અનધિકૃત ગણી તેની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે એમ મનપાના સીટી ઇજનેરે જણાવ્યુ છે.
ઓપરેશન મ્યુલ હન્ટ:જામનગરમાં બોગસ બેંક ખાતા અંગે વધુ 1 ફોજદારી
જામનગર શહેરના એક શખ્સે સેલ્સમેનના બેંક એકાઉન્ટમાં દોઢેક વર્ષમાં રૂ.9 લાખ 90 હજાર જમા કરાવ્યા પછી તે રકમ ફ્રોડથી મેળવી લેવાયાની જે તે આસામીએ કરેલી ફરિયાદના પગલે તપાસમાં પોલીસે એકાઉન્ટ ખોલાવનાર તથા એકાઉન્ટના સંચાલક સામે ખુદ ફરિયાદી બની ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.17માં પરમ એપાર્ટમેન્ટમાં રહેતા વિમલ રાજેશભાઈ મહેતા નામના આસામીનું બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં પુનીત રાઠોડ નામના આસામીએ રૂ.9 લાખ 90 હજારની રકમ જમા કરાવી દીધી હતી. આ રકમ જેના ખાતામાંથી ટ્રાન્સફર થઈ તેઓએ તાજેતરમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેમના સાથે ગયા વર્ષના જુન મહિનાથી સતત દોઢ વર્ષ સુધી ઈન્ટરનેટના માધ્યમથી ઠગાઈ થઈ હતી. સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જમાદાર વી.જે. સોનગરાએ ખુદ ફરિયાદી બની વિમલ તથા પુનીત રાઠોડ સામે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર સહિત રાજ્યભરમાં ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. જે અંતર્ગત બોગસ બેંક ખાતાઓના સમગ્ર પ્રકરણ મામલે પોલીસ દ્વારા ફરિયાદો નોંધવાનો સીલસીલો પણ યથાવત રહ્યો છે. અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ જુદી જુદી ફરિયાદોના આધારે પોલીસે બે ડઝનથી વધુ શખ્સોને પકડી પાડી તપાસ શરૂ કરી છે.
તસ્કરોનો આતંક:ટોડામાં સ્ટોન ક્રશરમાં 371 મીટર કોપર વાયરની ચોરી
કાલાવડ તાલુકાના ટોડા ગામમાં આવેલા સ્ટોન ક્રશરમાં તસ્કરો ત્રાટકીને રૂ.90 હજારની કિંમતનો 371 મીટર કોપર વાયરની ચોરી કરી જઈ અને સીસીટીવી કેમેરામાં તોડફોડ કરીને રૂ.4 હજારનું નુકશાન કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. રાજકોટના કૈલાશનગરમાં રહેતા વિરભદ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.46) નામના વેપારીનો કાલાવડના ટોડા ગામે હાલાર સ્ટોર ક્રશર આવેલ છે. તે સ્ટોન ક્રશરમાં ગત તા.21ના રાત્રીના કોઈ અજાણ્યા શખસોએ ત્રાટકીને રૂ.89,367ની કિંમતનો 371 મીટર કોપર વાયરની ચોરી કરી લઈ ગયા હતા. તસ્કરોએ સીસીટીવી કેમેરાને તોડી નાખીને રૂ.4 હજારનું નુકશાન કરીને નાશી છુટ્યા હતા. બનાવ અંગેની સવારે જાણ થતાં વિરભદ્રસિંહ જાડેજાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ આર.બી.ઠાકોરએ તપાસ હાથ ધરી છે અને આરોપીઓની શોધખોળ આરંભી છે.
પોરબંદરના ક્ષાર અંકુશ વિભાગમાં 66ના મહેકમ સામે 32 જ કર્મી છે. અડધોઅડધ સ્ટાફની ઘટ છે. ક્ષાર અંકુશ વિભાગ હેઠળ જિલ્લાના 13 ડેમો આવેલ છે અને જિલ્લામાં અંદાજિત 500 કિમીની કેનાલો આવેલ છે તેમજ કેનાલ સાફ કરવી, ડેમોના મેન્ટેનન્સ, પાણી છોડવાની કામગીરી, પુલ બનાવવા, કેનાલના બંને સાઇડ રસ્તાના નિભાવ સહિતની કામગીરી કરવાની હોય છે. સ્ટાફના અભાવે આ કામગીરી ટલ્લે ચડે છે. પોરબંદરના ક્ષાર અંકુશ વિભાગમાં અડધોઅડધ જગ્યા ખાલી છે. દર પાંચ વર્ષે ચૂંટણી આવે છે અને મંત્રી સહિત સરકાર બને છે પરંતુ ભરતી પ્રક્રિયા ન થતા સરકારી વિભાગોમાં સ્થિતિ એની એજ રહે છે. ક્ષાર અંકુશ વિભાગ હેઠળ જિલ્લામાં મહેકમ 66 નું છે તેની સામે 32નો જ સ્ટાફ કાર્યરત છે અને 34 જગ્યા ખાલી પડેલ છે. ક્ષાર અંકુશ વિભાગમાં 6 સબ ડિવિઝન છે જેમાં ક્ષાર અંકુશ પેટા વિભાગ, ઘેડ વિકાસ પેટા વિભાગ કચેરી કુતિયાણા, પ્રોજેક્ટ સબ ડિવિઝન, ગુણવતા નિયમન પેટા વિભાગ સહિતના વિભાગ છે. અધિકારીઓ ચાર્જમાં હોય છે ત્યારે તેઓના માથે પણ કામનું ભારણ આવે છે. ક્ષાર અંકુશ વિભાગ હેઠળ જિલ્લામાં 13 ડેમો આવેલ છે આ ડેમો સંભાળવા, ડેમોનુ મેન્ટેનન્સ કામગીરી કરવાની હોય છે. જિલ્લામાં નાની મોટી 200 જેટલી કેનાલ આવેલ છે અને આ કેનાલો અંદાજિત 500 કિમીમાં ફેલાયેલ છે. કેનાલોની મેન્ટેનન્સ કામગીરી, નવી કેનાલો બનાવવી, કેનાલના સ્ટ્રક્ચર જેવા કે, પુલ બનાવવા, કેનાલની સફાઇ કરવી, કેનાલના બંને સાઇડના રસ્તાના નિભાવ કરવા, આ ઉપરાંત સમયાંતરે ખેડૂતની માંગણી મુજબ પાણી છોડવાની કામગીરી અને વહીવટી કામગીરી કરવાની હોય છે. આ વિભાગમાં અડધોઅડધ સ્ટાફની ઘટ હોવાને કારણે આ કામગીરી ટલ્લે ચડે છે. અરજદારો ધક્કા ખાઇ છે. ચાર્જમાં રહેલ કર્મીઓને કામનું ભારણ રહે છે ત્યારે વહેલી તકે આ વિભાગમાં સ્ટાફની ભરતી કરવી અનિવાર્ય બની છે. કઈ જગ્યા પર કઈ કઈ જગ્યા ખાલી ? ક્ષાર અંકુશ વિભાગમાં નાયબ કાર્યપાલક ઇજનેરની 1 જગ્યા ખાલી છે જ્યારે મદદનીશ ઇજનેરની 1 જગ્યા, અધિક મદદનીશ ઇજનેરની 10 જગ્યા ખાલી છે, આ ઉપરાંત સિનિયર ક્લાર્કની 6 જગ્યા ખાલી, જુનિયર ક્લાર્કની 6 જગ્યા ખાલી, વર્ક આસિસ્ટન્ટની 10 જગ્યા ખાલી છે. આમ કુલ 34 જગ્યા ખાલી છે.
ધરપકડ:જુદા-જુદા બેંક એકાઉન્ટમાંથી રૂ. 3.76 લાખ નો સાયબર ફ્રોડ કરનાર ખાંભોદરનો આરોપી ઝડપાયો
પોરબંદર જિલ્લા ખાતે મ્યુલ એકાઉન્ટસનો ડેટા મળેલ, જે મ્યુલ એકાઉન્ટસની તપાસ કરતાં યસ બેંક, HDFC બેંક, ICICI બેંક એકાઉન્ટના એક ધારક વિરુધ્ધમાં અલગ-અલગ રાજયોમાંથી કૂલ 17 કંપ્લેઇન દાખલ થયેલ હોય, અને રૂા.3,76,074 જેટલી રકમ બેંક એકાઉન્ટમાં આવેલ અને તે જ દિવસે ચેક સહિતના માધ્યમથી KYC ધારક દ્વારા ઉપાડી લીધેલ હોય, જેથી તા. 20/12ના રોજ પોરબંદર સાયબર ક્રાઈમ પોલીસ મથકે સાયબર ક્રાઇમનો ગુન્હો બેંક એકાઉન્ટ ધારક વિરૂધ્ધ પોલીસે જાતેથી ફરીયાદી બની દાખલ કરવામાં આવેલ અને આ ગુન્હાની તપાસ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.આર. ચૌધરી દ્વારા સંભાળેલ અને ગણતરીના કલાકોમાં બેંક એકાઉન્ટ ધારક રામવાવ થી કુણવદર જતા રસ્તે, ગામ ખાંભોદર વાડી વિસ્તારમાં રહેતો લાખણશી રામ ગોઢાણીયાની ધરપકડ કરી અને અટક કરી આગળની પુછપરછ અને તપાસ કાર્યવાહી હાથ ધરી છે. રૂ.7.50 લાખના સાયબર ફ્રોડનો ચોથો આરોપી જેલ હવાલે પોરબંદરના એસબીઆઈ એકાઉન્ટ વિરૂધ્ધમાં અલગ-અલગ રાજયોમાંથી કૂલ 6 કંપ્લેઇન દાખલ થયેલ હોય, અને રૂ. 7,50,000 જેટલી રકમ બેંક એકાઉન્ટમાં આવેલ અને તે જ દિવસે ચેક સહિત અન્ય માધ્યમ દ્વારા KYC ધારક અને સહઆરોપીઓ દ્વારા રૂપિયા ઉપાડી લીધેલ હોય, આ સાયબર ફ્રોડના ગુન્હામાં સંડોવાયેલ ચોથો આરોપી જૂનાગઢના મંડલીકપુરનો જય ગોપાલ રામોલીયાને પોલીસે અમરેલી ખાતેથી ઝડપી લઇ કાર્યવાહી કરી હતી અને રિમાન્ડ પૂર્ણ થતા આ આરોપીને જેલ હવાલે કર્યો છે.
માંગ:લારી ધારકો જ્યાં સંકડાસ છે ત્યાં જ ફરી ઊભવાની માંગ સાથે રજૂઆત કરવા ગયા
પોરબંદરમાં મનપા ટીમે મુખ્ય માર્ગો પર લારી કેબિનો હટાવી છે અને માર્ગો ખુલ્લા કર્યા છે ત્યારે લારી ધારકોએ જ્યાંથી તેઓને હટાવ્યા છે તે સ્થળે જ ફરી ઊભાં દેવાની માંગ સાથે મનપા ખાતે રજૂઆત કરી હતી. જોકે કમિશનરે જણાવ્યું હતુકે સાંજના મિટિંગ કરી ધારકોને વૈકલ્પિક જગ્યા ફાળવવાની ખાતરી આપી હતી. તાજેતરમાં પોરબંદર મનપા ટીમ દ્વારા મુખ્ય માર્ગ એવા સુદામા મંદિર આસપાસ, બાલાજી હનુમાન સામેનો રોડ, એમજી રોડ, બંગડી બજાર સહિતના વિસ્તારો માંથી લારી કેબિનો દૂર કરાવી હતી અને કેટલીક લારીઓ અને બહાર પડેલ સામાન જપ્ત કરી દંડ વસૂલ કર્યો હતો. લારી કેબિન દૂર થતા લારી કેબિન ધારકો મનપા ખાતે દોડી આવ્યા હતા અને કમિશનરને જણાવ્યું હતુકે, તેઓની રોજીરોટી છીનવાઇ ગઈ છે. લારી કેબીનની જગ્યા ન હોવાથી તેઓ અને તેઓના પરિવારજનોનું ગુજરાન ચલાવવું કપરું બન્યું છે. ત્યારે જે જગ્યા પરથી હટાવ્યા ત્યાં જ ફરી લારી ઊભી રાખવા દેવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છેકે, આ જગ્યા સંકડાશમાં આવતી હોવાથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી. કમિશનરે જણાવ્યું હતુકે સાંજના સમયે મિટિંગ કરી ચર્ચા કરી અને વૈકલ્પિક જગ્યા ફાળવી આપવાની ખાતરી આપી હતી.
દમણના સ્થાનિક ફૂટબોલ ખેલાડીઓએ સંતોષ ટ્રોફી સિલેક્શનમાં કથિત ગેરરીતિ અને સ્થાનિક પ્રતિભાની અવગણના સામે સોમવારે ભાજપ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેલાડીઓએ ભાજપ પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ અને પ્રદેશ અધ્યક્ષ મહેશ અગરિયાને આવેદનપત્ર પાઠવી પોતાની રજૂઆતો કરી હતી.ખેલાડીઓએ સંઘપ્રદેશ ફૂટબોલ એસોસિયેશન પર સંતોષ ટ્રોફીના સિલેક્શન ટ્રાયલ્સમાં રોંગ પ્રેક્ટિસ કરી રહ્યાનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે, છેલ્લા 10 વર્ષથી એસોસિયેશન પ્રદેશના સ્થાનિક ખેલાડીઓની અવગણના કરીને બહારના ખેલાડીઓને પ્રાધાન્ય આપી રહી છે. આક્ષેપ મુજબ હાલમાં પણ કેટેગરી-2 અને કેટેગરી-3ના નિયમનો દુરુપયોગ કરીને બહારના ખેલાડીના ખોટા એફિડેવિટ બનાવવામાં આવ્યા છે અને તેમને ટીમમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક ખેલાડીઓએ આરોપ લગાવ્યો કે, આમાંથી ઘણા ખેલાડીઓએ તો ટ્રાયલ્સમાં પણ હાજરી આપી ન હતી. રાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓને અન્યાયસ્થાનિક ફૂટબોલ એસોસિએશન સેલવાસ, ખાનવેલ અને દીવના 300થી 500 સક્ષમ અને નેશનલ લેવલે રમી ચૂકેલા સ્થાનિક ખેલાડીને તક આપવાને બદલે અન્યાય કરી રહ્યું છે. ખેલાડીની સ્પષ્ટ માંગ છે કે, આ મામલે તપાસ કરવામાં આવે. 18 ખેલાડીની ટીમમાં સ્થાનિક યુવાકને જ તક આપવામાં આવે. ખોટા એફિડેવિટથી રમતા ખેલાડીઓનું સિલેક્શન રદ કરવામાં આવે અને વર્ષોથી ચાલી આવતી આ પ્રથાઓ બંધ કરે જેથી પ્રદેશના સાચા ટેલેન્ટને ન્યાય મળી શકે.
રજૂઆત:યાત્રી સુવિધા હેતુ બેટ દ્વારકામાં પે એન્ડ પાર્ક-વિશ્રામ સ્થાનની વ્યવસ્થા કરવા માંગ
યાત્રાધામ બેટ સુદર્શન સેતુના નિર્માણ સાથે જમીન માર્ગે જોડાયા અહી આવતાં તીર્થયાત્રીકોની સંખ્યામાં ઉત્તરોતર વધારાને લીધે વ્યાપક ભીડભાડ વાળા તીર્થસ્થાનમાં પે એન્ડ પાર્ક તેમજ વિશ્રામ સ્થાનની વ્યવસ્થા કરવા રજૂઆત કરવામાં આવી છે.દેવભૂમિ દ્વારકા જિલ્લાના તીથસ્થાનો યાત્રાધામ બેટ દ્વારકાધીશ મંદિર જે ઠાકોરજીનું નિવાસસ્થાન ગણાતું હોવાથી દરરોજના હજારો તીર્થયાત્રીકોના અવરજવર વાળા બેટ દ્વારકામાં બેટ દ્વારકાધીશ મંદિર ઉપરાંત વિશ્વનું એકમાત્ર પિતા-પુત્ર હનુમાનજી અને મકરધ્વજજીની સંયુકત મૂર્તિ ધરાવતા હનુમાન દાંડી તેમજ અન્ય હિન્દુ મંદિરો અને અન્ય ધર્મના તીર્થસ્થાનો પણ આવેલા છે. જેથી વર્ષ દરમ્યાન લાખો દર્શનાર્થીઓ બેટ દ્વારકા તીર્થક્ષેત્રની મુલાકાત લેતાં હોય છે. યાત્રાધામ બેટ દ્વારકામાં સરકાર દ્વારા કરવામાં આવેલી પાર્કિંગની જગ્યા ખૂબ ઓછી હોય, ખાનગી પાર્કિંગ પણ જૂજ હોવાને લીધે દર્શનાર્થીઓને વાહનો પાર્ક કર્યા બાદ લાંબુ અંતર ચાલીને કાપવું પડે છે. દર્શનાર્થીઓમાં મોટી સંખ્યામાં સીનીયર સીટીઝન, મહિલા, બાળકો આવતાં હોય. તેઓને લાંબુ અંતર ચાલીને અથવા ફરજીયાત ઓટો કરવી પડતી હોય વ્યાપક સમસ્યા થતી હોય આ અંગે પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી અનીલભાઈ વિઠલાણી દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરી બેટ દ્વારકાધીશ મંદિરથી તદ્દન નજીક 100 મીટરના અંતરે વિશાળ ખાલી જગ્યામાં સરકારી ધોરણે પે એન્ડ પાર્કની સુવિધા ઉપલબ્ધ કરાવવા અનુરોધ કરાયો છે. તેમની રજૂઆત અનુસાર અહીં 3000 જેટલા વાહનો પાર્ક થઈ શકે તેમ હોય, યાત્રીકોને પાર્કિંગ ઉપરાંત વિશાળ વિશ્રામ સ્થાન પણ ઉપલબ્ધ કરાવી શકાય તેમ છે. આ ઉપરાંત બેટ દ્વારકા દેવસ્થાન સમિતિની માલીકીની લાખો ફૂટ જમીન આવેલ હોય તેમાં વધુ વિકાસ સાથે લોકોની સુવિધા માટે ઉપયોગ કરવા તેઓએ માંગ કરી છે.
કાર્યવાહી:ખેડામાં રોડ પર રઝળતા 11 પશુઓને પકડી નગરપાલિકાની ટીમે પાંજરે પૂર્યા
ખેડા શહેરમાં આવેલ વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી નગરમાં રખડતા પશુઓને લઈને નાગરિકોને પસાર થવામાં અનેક અડચણો ઊભી થતી હતી. જેને પગલે પાલિકા તંત્રએ સોમવારે એકાએક નગરના અનેક વિસ્તારોમાંથી 11 જેટલા પશુઓને પકડી પશુઓને પાંજરાપોળ મોકલી આપવાની કામગીરી હાથ ધરાઈ હતી. ખેડા શહેરમાં આવેલ વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી નગરમાં રખડતા પશુઓને લઈને નાગરિકોને પસાર થવામાં અનેક અડચણો ઊભી થતી હતી. જેને પગલે પાલિકા તંત્રએ સોમવારે એકાએક નગરના અનેક વિસ્તારોમાંથી 11 જેટલા પશુઓને પકડવાનું અભિયાન હાથ ધર્યું હતું. જેમાં પકડાયેલા તમામ 11 પશુઓને પાંજરાપોળ મોકલી આપવાની કામગીરી હાથ ધરાઈ હતી. સોમવારે સવારથી પાલિકાના કર્મચારીઓ ખેડા શહેરમાં રખડતા પશુઓને પકડવાની કામગીરી શરૂ કરી હતી. ખેડા મહેમદાવાદ રોડ અને ખેડાના વિવિધ વિસ્તારોમાંથી કુલ 11 જેટલા પશુઓ પકડીને મરાલા ગામે આવેલ પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. ખેડા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા પશુઓને પાલિકાએ પકડીને પાંજરે પૂરતા નગરજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. વધુમાં આ બાબતે ખેડા પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર પીનાબેન પરમારે જણાવ્યું હતું કે 11 જેટલા પશુઓને પકડીને પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવેલા છે. આગામી દિવસોમાં પણ હજુ જેટલા પણ ખેડા શહેરમાં રખડતા પશુઓને પકડવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે.
આજે રાષ્ટ્રીય કિસાન દિવસ:બોટાદમાં 500થી વધુ ખેડૂતોએ ઝેરમુક્ત ખેતી અપનાવવાનો સંકલ્પ લીધો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર મહિલા સશક્તિકરણ અને ખેડૂતોના સર્વાંગી ઉત્કર્ષ માટે સતત કાર્યરત છે. જે અંતર્ગત, બોટાદમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર ‘આત્મા’ તથા નાયબ ખેતી નિયામક (તાલીમ) દ્વારા કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ યોજના હેઠળ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે એક ભવ્ય “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ” યોજાયો હતો. રાસાયણિક ખેતી સામે લાલબત્તી કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમારે પ્રાકૃતિક કૃષિને આજના સમયની તાતી જરૂરિયાત ગણાવી હતી. નાયબ ખેતી નિયામક બી.આર. બલદાણીયાએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, રાસાયણિક ખાતરો અને ઝેરી કીટનાશકોના આડેધડ ઉપયોગથી જમીનની ફળદ્રુપતા જોખમાઈ રહી છે. આ સામે ‘આત્મા’ પ્રોજેક્ટ ડાયરેક્ટર બી.બી. કાનડેએ પ્રાકૃતિક કૃષિના પાંચ મુખ્ય આયામો ખેતી ખર્ચ ઘટાડાની રીતો જણાવી હતી. અનુસંધાન પેજ નં.3 ઉપર. ઉત્પાદન ખર્ચમાં ઘટાડો અને શ્રેષ્ઠ ભાવ ગઢડાના પ્રગતિશીલ ખેડૂત યોગેશભાઈ ડવ એ જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ખેતીનો ખર્ચ નહિવત થઈ જાય છે. રાસાયણિક મુક્ત પાક હોવાથી બજારમાં ભાવ પણ વધુ મળે છે અને ખેડૂત પરિવાર તેમજ ગ્રાહકોનું સ્વાસ્થ્ય સુરક્ષિત રહે છે. ઘરઆંગણે તૈયાર કરો કુદરતી કીટનાશકખેડૂત મહેન્દ્રભાઈ ગોટીએ જમીનને નુકસાન કર્યા વગર જીવાત નિયંત્રણ માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે નીમાસ્ત્ર, અગ્નિયાસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર જેવા ઘરેલું કીટનાશકો પાકને ઝેરમુક્ત રાખે છે.પર્યાવરણનું પણ જતન કરે છે.
કામગીરી:બોટાદમાં અનક્લેમ રકમ મેળવવા 12 સ્ટોલ લાગ્યા: રૂ. 20 લાખના દાવા મંજૂર
નાણાકીય સંસ્થાઓમાં દાવો કર્યા વગર પડી રહેલી થાપણો, વીમાની રકમ, ડિવિડન્ડ અને પેન્શન જેવી મૂડી પરત મેળવવા માટે બોટાદ નગરપાલિકા ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાની વિશેષ શિબિર યોજાઈ હતી. “તમારી મૂડી, તમારો અધિકાર” ટેગ લાઇન સાથેની આ રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ અંતર્ગત બેંક ઓફ બરોડા (અગ્રણી જિલ્લા બેંક) દ્વારા નાગરિકોને જાગૃત કરવા આ આયોજન કરવામાં આવ્યું હતું. ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રારંભ આ શિબિરનો શુભારંભ SLBCના ડીજીએમ વીણા શાહ, RBIના ડીજીએમ દેવેન્દર ડી. બોન્ડે, એજીએમ સુશીલ સહાને અને BOBના રીજનલ હેડ રવિ રંજન સહિતના મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યો હતો. અતિથિઓએ જણાવ્યું કે, 1 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી ચાલનારી આ ઝુંબેશનો હેતુ નાગરિકોને તેમના નાણાકીય અધિકારો અપાવવાનો છે. શિબિરમાં જિલ્લાની વિવિધ બેંકોના અધિકારીઓ અને અંદાજે 250 જેટલા નાગરિકો હાજર રહ્યા હતા. સ્થળ પર જ ₹20 લાખના દાવા મંજૂર કાર્યક્રમ દરમિયાન 35 જેટલા દાવેદારોને તેમના દાવાના સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. વિવિધ નાણાકીય સંસ્થાઓના કુલ ₹20 લાખના દાવાઓ આ શિબિરના માધ્યમથી મંજૂર કરાયા હતા. શિબિરમાં કુલ 12 સ્ટોલ્સ દ્વારા જૂના ખાતાઓ અને મૃત વ્યક્તિના વારસદારો દ્વારા રકમ પરત મેળવવાની કાયદેસરની પ્રક્રિયા અંગે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અંતમાં એલડીએમ આલોક કુમારે તમામ સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
કોરોના અને ત્યારબાદ જાહેર સ્થળે બનેલી દુર્ઘટનાઓને ધ્યાનમાં રાખીને સરકારે ગરબા - ડાન્સ પાર્ટી જેવી જગ્યા માટે પરમિશનના કાયદા વધુ કડક કરી દીધા છે. જેથી અમદાવાદમાં થર્ટી ફર્સ્ટે યોજાતી ડાન્સ પાર્ટીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 2021માં ક્લબ, પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસોમાં મળીને 65 જગ્યાએ ડાન્સ પાર્ટી યોજાઈ હતી. જ્યારે 2024માં તે સંખ્યા 14એ પહોંચી હતી. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ડાન્સ પાર્ટી માટે માત્ર 2 અરજી આવી છે. ચાલુ વર્ષે 22 ડિસેમ્બર સુધીમાં માત્ર 2 આયોજકે 31 ડિસેમ્બરે ડાન્સ પાર્ટીની મંજૂરી લેવા માટે પોલીસ કમિશનર કચેરીની લાઈસન્સ બ્રાંચમાં અરજી કરી છે. વધુમાં પ્રોફેશનલ ડાન્સ પાર્ટીની સંખ્યા ઓછી થવા પાછળનું કારણ એ છે કે હવે લોકો ફાર્મ હાઉસમાં તેમજ વિક એન્ડ વિલામાં પરિવાર, મિત્રો, સગાસંબંધી સાથે થર્ટી-ફર્સ્ટની પાર્ટી કરી હોવાથી પ્રોફેશનલ્સ ડાન્સ પાર્ટીઓ ઓછી થઈ હોવાનું આયોજકોનું કહેવું છે. દારૂ અને રેવ પાર્ટી પોલીસ માટે મોટો પડકાર31 ડિસેમ્બરે નવરંગપુરા, સીજી રોડ અને સિંધુ ભવન રોડ ઉપર મોટી સંખ્યામાં લોકો ઉજવણી કરવા ભેગા થાય છે. જેથી સીજી રોડ સાંજે 6 વાગ્યાથી અને સિંધુ ભવન રોડ રાતે 10 વાગ્યાથી વાહન ચાલકો માટે બંધ કરી દેવાય છે. જ્યારે એસજી હાઈવે ઉપર રાતે ભારેથી અતિ ભારે વાહનોના પ્રવેશવા ઉપર પ્રતિબંધ રહે છે. પોલીસ માટે દારુ અને રેવ પાર્ટી પકડવી તે સૌથી મોટો પડકાર રહે છે. આ દિવસે સાંજથી સમગ્ર શહેર પોલીસને સ્ટેન્ડ ટુ કરી દેવાય છે. આ બંદોબસ્તમાં 10 હજાર કરતાં પણ વધારે પોલીસ અધિકારી- કર્મચારી તહેનાત રહે છે. 2021 પછી પાર્ટીની સંખ્યા ઘટી વર્ષ પાર્ટી 2021 65 2022 40 2023 20 વર્ષ પાર્ટી 2024 14 2025 02 આયોજકો પરમિશન માટે 12થી વધુ પુરાવા આપવા પડશેઅરજદારનું આધાર કાર્ડ, જે જગ્યાએ ડાન્સ પાર્ટી રાખવામાં આવે છે તે જગ્યાના માલિકનું સંમતિપત્ર, ડાન્સ પાર્ટીની જગ્યા પોતાની માલિકીની હોય તો માલિકી પુરાવા , પરફોર્મન્સ કરનારા આર્ટિસ્ટોના સંમતિપત્ર, ડાન્સ પાર્ટીના સ્થળ, પાર્કિંગ સહિતની જગ્યાએ લગાવેલા સીસીટીવીની વિગતો, પાર્ટીમાં આવનારા માટે એન્ટ્રી - એક્ઝિટ અલગ રાખવા , પુરુષ-મહિલા સિકયોરિટી ગાર્ડ, જમીન સરકારી માલિકીની હોય તો મંજૂરીપત્ર, ભાડા પહોંચ સહિતની પ્રમાણિત નકલ, ફાયર સેફટી અંગે એનઓસી મેળવવાની રહેશે.
મતદારોની સંખ્યા જાળવવા રીસ્ટ્રક્ચરિંગ:ડ્રાફ્ટ યાદીમાં મોટાભાગના મતદારોના બૂથ નંબર બદલાયા
એસઆઈઆરની પ્રક્રિયામાં ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરાઈ છે. તેમાં મોટાભાગના લોકોના બૂથ નંબર બદલાઈ ચૂક્યા છે અને તેની જાણ તેમને કરાઈ નથી. ડ્રાફ્ટ યાદીમાં સામે મતદારોને નોટિસ મોકલાશે તેઓને પોતાનું બૂથ નંબર અને સ્થળ શોધવામા મુશ્કેલી પડશે. ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાના ગાઈડલાઈન મુજબ બીએલઓ અને જિલ્લા ચૂંટણી પંચે મતદારો સુધી બૂથ નંબરની માહિતી પહોંચાડવાની જવાબદારી હોય છે. દરેક વિધાનસભામાંથી અંદાજીત 25 ટકા મતદારોના નામ કાપી દેવાના કારણે બૂથને ફરીથી બનાવવાની જરૂરિયાત જોવા મળી રહી છે. જેને ધ્યાનમાં રાખીને જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા એક બૂથમાં 1000થી 1200 મતદારોની સંખ્યા જળવાઈ રહે તે માટે બૂથ રિસ્ટ્રક્ચરની કામગીરી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, 10 વિધાનસભામાં ગત જીતની સરસાઈથી વધુ મતદારો કપાયા છે. અમરાઈવાડીમાં સૌથી વધુ 69749 મતદારે મકાન બદલતા તેમને બાકાત રખાયા છે. 21 ડિસેમ્બર સુધી નવા નામ માટે 66232 લોકોએ અને નામ કમી કરાવવા 9966 લોકોએ અરજી કરીવાંધા અને સૂચનનો સમયગાળો 18 જાન્યુઆરી સુધી ચાલવાનો છે. તે સમય દરમિયાન જે લોકોએ પોતાનું નામ નવેસરથી જોડાવું અને નામ કમી સાથે ટ્રાન્સફર કરાવવા માગતા હોય તેઓ અરજી કરી શકશે. જેના ભાગરૂપે 21 ડિસેમ્બર સુધી 66232 લોકોએ ફોર્મ-6 ભરી નવા નામ જોડાવવા માટે અરજી કરી હતી. જ્યારે વિધાનસભામાંથી નામ કમી કરાવવા માટે 9966 લોકોએ ફોર્મ-7 ભરીને અરજી કરી હતી. આવનારા દિવસોમાં મતદારો દ્વારા થયેલ અરજીની ચકાસણી કરીને તેઓને સમાવવો કે નહી તે અંગેનો નિર્ણય લેવામાં આવશે. 16 વિધાનસભામાંથી 12 લાખ નામ કાપી નખાયાશહેરની 16 વિધાનસભામાંથી કુલ 12 લાખ લોકોના નામ કાપી દેવામા આવ્યા હતા. જેના કારણે મતદારોની સંખ્યામાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે વાંધા અને સૂચનના સમયગાળમાં ફોર્મ-6 અને ફોર્મ-8 ભરીને લોકો પોતાનું નામ જોડાવા અને ટ્રાન્સફર કરાવવા માટે અરજી કરશે ત્યારબાદ ફરિથી નવા મતદારો જોડાશે અને બૂથ પણ બદલાવાની શક્યતા સર્જાઈ રહી છે. ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં ફાઈનલ મતદાર યાદી જાહેર કરવામા આવશે ત્યારબાદ ફાઈનલ બૂથ નંબર જાહેર કરવામા આવશે.
વાતાવરણ:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પવનની દિશા સતત બદલાતાં રાત્રે ઠંડીને બદલે ગરમી વર્તાય છે
સામાન્ય રીતે શહેરમાં ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં કડકડતી ઠંડી પડતી હોય છે. પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પવનની દિશા બદલાતા છેલ્લા 4 દિવસથી રાત્રિનું તાપમાન 17 ડિગ્રીથી વધુ નોંધાયું છે. જેને કારણે રાત્રે ઠંડીને બદલે ગરમી વરત્યા છે. હવામાન વિભાગના આંકડા મુજબ સોમવારે અમદાવાદનું લઘુતમ તાપમાન સામાન્ય 13 ડિગ્રી કરતા 4.2 ડિગ્રી વધીને 17.2 ડિગ્રી નોંધાયું છે. જો ગયા વર્ષની સરખામણી કરીએ તો, ડિસેમ્બર 2024માં આ સમયે પારો 11.8 ડિગ્રી સુધી ગગડી ગયો હતો, જેની સામે આ વર્ષે તાપમાન ઘણું ઊંચું રહ્યું છે. સામાન્ય રીતે શિયાળામાં ઉત્તર દિશાના ‘પ્રબળ પવનો’ બરફીલી ઠંડી લઈને ગુજરાતમાં પ્રવેશતા હોય છે, જેનાથી તાપમાન ગગડે છે. પરંતુ આ વખતે પવનની આ ‘દિશા’માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મોટો અવરોધ આવ્યો છે. આગામી બે દિવસમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ જતાં ફરીથી ઉત્તર દિશાના (ઉત્તરીય-પૂર્વીય) પવન શરૂ થશે, જે સીધી હિમાલયની ઠંડક લઈને આવશે. એ પછી તાપમાન 13 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે. બે દિવસ પછી પવનની દિશા બદલાતાં ઠંડી વધશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે ભૂમધ્ય સમુદ્ર તરફથી આવતું નીચા દબાણનું ક્ષેત્ર. હાલમાં આવું એક ડિસ્ટર્બન્સ પાકિસ્તાન અને તેની આસપાસના અફઘાનિસ્તાન વિસ્તારમાં સક્રિય છે. જ્યારે આવું ડિસ્ટર્બન્સ ભારત તરફ આવે, ત્યારે તે ઉત્તર ભારતની ઠંડી હવાના માર્ગને રોકી દે છે. બે દિવસ પછી પવનની દિશા બદલાતા ઠંડી વધશે. - અંકિત પટેલ, હવામાન નિષ્ણાત, એક્સપર્ટ
નિઝર તાલુકાના ગામડાઓની તરસ છિપાવવા માટે કરોડોના ખર્ચે જે યોજનાનું નવનિકરણ કરાયું, તેે તંત્રની લાપરવાહીને કારણે ટીપે ટીપે વહી રહી છે. વેલદા પાસે આવેલા મુખ્ય હેડવર્કની પાઈપ લાઈનમાં સર્જાયેલા મેજર લીકેજને કારણે રોજિંદા લાખો લીટર ફિલ્ટર કરેલું શુદ્ધ પાણી ગટરમાં વહી રહ્યું છે, પરંતુ અધિકારીઓ કુંભકર્ણી નિદ્રામાં હોય તેમ જણાઈ રહ્યું છે. દક્ષિણ નિઝર જૂથ પાણી પુરવઠા યોજનાના વર્ષો જૂના ગોડાઉન કેમ્પસમાંથી જ મુખ્ય સપ્લાય લાઈન પસાર થાય છે. છેલ્લા કેટલાક દિવસોથી અહીં લાઈનમાં મોટું ભંગાણ પડ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, જે યોજનાને માંડ બે-અઢી વર્ષ પહેલા જ કરોડોના ખર્ચે રિનોવેટ કરવામાં આવી હતી, તેમાં વહેલી ખામી સર્જાતા કામગીરીની ગુણવત્તા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. દંડાત્મક કાર્યવાહી થવી જોઇએ યુદ્ધના ધોરણે સમારકામ તુરંત જ સપ્લાય બંધ કરી ટેકનિકલ ટીમ દ્વારા પાઈપ લાઈનનું વેલ્ડિંગ કે રિપ્લેસમેન્ટ કરવું જોઈએ. લીકેજની જાણ હોવા છતાં વિલંબ કરનાર અધિકારીઓ સામે દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ. નવનિકરણમાં વપરાયેલા મટીરિયલનું ક્વોલિટી ચેક થવું જોઈએ જેથી ભવિષ્યમાં આવા લીકેજ અટકાવી શકાય. અંતરિયાળ ગામોમાં પાણીની તંગી સર્જાશેલાખો લીટર શુદ્ધ પાણીનો બગાડ થાય છે ત્યારે સ્થાનિક એન્જિનિયરો મુકપ્રેક્ષક બનીને બેઠા છે, સરકારના કરોડો રૂપિયાના ખર્ચે થયેલું નવનિકરણ જો બે વર્ષમાં જ જવાબ આપી દેતું હોય, તો કોન્ટ્રાક્ટર સામે તપાસ કેમ નહીં? જો આ શુદ્ધ પાણી વેડફાશે, તો અંતરિયાળ ગામોમાં ઉનાળા પહેલા જ પાણીની તંગી સર્જાશે તેની ચિંતા કોણ કરશે? લીકેજ પાછળના સંભવિત કારણો
દારૂબંધીમાં મોટી રાહત!:ગિફ્ટ સિટીમાં હવે પરમિટ વગર ‘વાઈન એન્ડ ડાઈન’ની છૂટ
ગુજરાતના આર્થિક હબ તરીકે ઓળખાતી ગિફ્ટ સિટીને વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક અને આકર્ષક બનાવવા રાજ્ય સરકારે દારૂબંધીના નિયમોમાં ઐતિહાસિક રાહત આપતી નવી નોટિફિકેશન જાહેર કરી છે. હવે ગિફ્ટ સિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ અને બહારના નાગરિકોને દારૂના સેવન માટે પરમિટ લેવાની જટિલ પ્રક્રિયામાંથી મુક્તિ મળશે. પરમિટની ઝંઝટ ખતમ, માત્ર ઓળખપત્ર પૂરતુંનવા જાહેરનામા મુજબ, ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓ તથા વિદેશી નાગરિકો હવે ગિફ્ટ સિટીની અધિકૃત હોટલ કે ક્લબમાં માત્ર માન્ય ઓળખપત્ર બતાવીને દારૂનું સેવન કરી શકશે. વિદેશી નાગરિકો માટે પણ પ્રક્રિયા સરળ બનાવાતા આંતરરાષ્ટ્રીય રોકાણકારો અને મહેમાનોને કોઈ અગવડ નહીં પડે. છૂટછાટ સાથે કડક શરતો યથાવતસરકારએ સ્પષ્ટ કર્યું છે કે આ છૂટછાટ માત્ર ગિફ્ટ સિટીના સીમિત વિસ્તારમાં જ લાગુ પડશે. અહીંથી કોઈ પણ વ્યક્તિ દારૂની બોટલ કે જથ્થો શહેરના અન્ય વિસ્તારો કે ગિફ્ટ સિટીની બહાર લઈ જઈ શકશે નહીં. નિયમ ભંગ કરનાર સામે ગુજરાતના કડક દારૂબંધી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. વૈશ્વિક બિઝનેસ માટે મોટો સંદેશબિઝનેસ નિષ્ણાતોના મતે, વિશ્વના નાણાકીય કેન્દ્રો જેમ કે દુબઈ અને સિંગાપોર સાથે સ્પર્ધા કરવા માટે આ પ્રકારની નીતિગત છૂટછાટ જરૂરી હતી. આ નિર્ણયથી ગિફ્ટ સિટીમાં કોર્પોરેટ ઈવેન્ટ્સ, કોન્ફરન્સ અને હોસ્પિટાલિટી સેક્ટરને નોંધપાત્ર વેગ મળશે.
ક્રિસ્મસ અને 31stની ઉજવણીને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે મુજબ 24 ડિસેમ્બરના રાતના 11:55થી 25 ડિસેમ્બરના 00:30 સુધી અને 31 ડિસેમ્બરના રાતના 23:55થી 1 જાન્યુઆરીના 00:30 સુધીમાં નવા વર્ષની ઉજવણીના અંતર્ગત ફટાકડા ફોડી શકાશે. આ સિવાય રાતના સમયે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે. ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ દ્વારા કરવાનું રહેશેપોલીસ કમિશનરના જાહેરનામા મુજબ ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોવાથી તથા વધુ પ્રમાણમાં હવાનું પ્રદૂષણને ઘન કચરો પેદા કરતા હોવાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ દ્વારા કરવાનું રહેશે. તમામ ઈ-કોમર્સ વેબસાઇટને ઓનલાઈન તમામ પ્રકારના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ છે. ફટાકડા બનાવવા માટે બેરિયમના ઉપયોગ પર પ્રતિબંધ છે.હાનિકારક ધ્વનિ પ્રદુષણ રોકવા માટે PESO સંસ્થા દ્વારા અધિકૃત બનાવટ વાળા અને અન્ય ધ્વનિસ્તર વાળા ફટાકડા વેચી શકાશે.PESO દ્વારા અધિકૃત ફટાકડાના દરેક બોક્સ પર PESO સૂચના પ્રમાણેનું માર્કિંગ હોવું જરૂરી છે. સાયલન્ટ ઝોનની આસપાસ ફટાકડા ફોડી શકાશે નહીહોસ્પિટલ,નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલય અને ધાર્મિક સ્થળોની 100 મીટરની ત્રિજ્યા વિસ્તારને સાયલન્ટ ઝોન જાહેર કરવામાં આવેલા હોય છે.જેથી ત્યાં કોઈ પણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં. કોઈ પણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહીં.કોઈપણ પ્રકારના ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહીં.પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-223 અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 મુજબ ફરિયાદ નોંધવામાં આવશે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ગત મોડી રાત્રે ફરજ પરથી પરત ફરી રહેલા એક રેસિડેન્ટ ડોક્ટર પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ મામલે ડોક્ટરે સેક્ટર-7 પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ 24 કલાકમાં આ મામલે કાર્યવાહી નહીં થાય તો તમામ રેસિડેન્ટ ડોકટર સામુહિક હડતાળ પાડવાની પણ ચીમકી ઉચ્ચારી છે. મળતી માહિતી મુજબ, ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ચામડી વિભાગમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડો. કૃણાલ ભટ્ટ ગત રાત્રે આશરે 11:30 વાગ્યાના સુમારે પોતાનું બાઈક પાર્ક કરી રહ્યા હતા. તે સમયે અચાનક એક અજાણી ગાડી (નંબર: GJ 01 HK 4428) ત્યાં આવી પહોંચી હતી. ડોક્ટર પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકીદરમિયાન ગાડીમાંથી ઉતરેલા બેથી ત્રણ અજાણ્યા શખસોએ કોઈપણ કારણ વગર ડોક્ટર સાથે ગાળાગાળી શરૂ કરી હતી. ડોક્ટરે વિરોધ કરતા આ શખસોએ તેમની સાથે ઝપાઝપી કરી માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ડોકટરો સામુહિક હડતાળની ચીમકીડો. કૃણાલ ભટ્ટે આ અંગે સેક્ટર-7 પોલીસને અરજી આપી જણાવ્યું છે કે, અજાણ્યા હુમલાખોરોએ કોઈપણ વાતચીત વગર સીધો હુમલો કર્યો હતો. આ હુમલા બાદ શખસો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે કડક કાર્યવાહી કરવામાં આવે નહીં તો બધા ડોકટરો સામુહિક હડતાળ પાડશે. પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરીહાલમાં તો પોલીસે આ મામલે ગાડીના નંબરના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. હોસ્પિટલના ડોક્ટરોમાં આ ઘટનાને પગલે રોષ જોવા મળી રહ્યો છે અને સુરક્ષા વધારવાની માંગ ઉઠી રહી છે.
વડોદરા શહેર પોલીસ વિભાગમાં આંતરિક બદલીઓ કરવામાં આવી છે. વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા કુલ 154 પોલીસ કર્મીઓની બદલી ટ્રાફિક વિભાગમાં કરવામાં આવી છે. આ આદેશ વડોદરા પોલીસ કમિશનર દ્વારા જારી કરવામાં આવ્યો છે. બદલી થયેલા કર્મીઓ ટૂંક સમયમાં જ ટ્રાફિક વિભાગમાં જોડાશેવડોદરા શહેર પોલીસના લોકરક્ષક, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ASIની બદલી કરવામાં આવી છે. આ આંતરિક બદલીઓ પોલીસ વિભાગની સામાન્ય વહીવટી પ્રક્રિયાનો ભાગ છે, જે સમયાંતરે કાર્યક્ષમતા વધારવા અને વિભાગોને સંતુલિત કરવા માટે કરવામાં આવે છે. બદલી થયેલા કર્મીઓ ટૂંક સમયમાં જ ટ્રાફિક વિભાગમાં જોડાશે. એકસાથે 154 પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી વડોદરા શહેર પોલીસમાં અવારનવાર બદલીઓ થતી રહે છે. આ વખતે એક સાથે 154 પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી છે, જેને પગલે પોલીસ બેડામાં ચર્ચા જાગી છે.
મદદનીશ નિયામક રોજગાર કચેરી તરસાલી વડોદરા તથા શ્રી જાનકી વલ્લભ આર્ટસ શ્રી મનુભાઇ સી પટેલ કોર્મસ કોલેજ મુવાલ તેમજ ઓમ એકેડેમી પાદરાના સંયુકત ઉપક્રમે તા 24/12/2025 ના રોજ સવારે 9 કલાકથી શ્રી જાનકી વલ્લભ આર્ટસ શ્રી મનુભાઈ સી પટેલ કોમર્સ કોલેજ મુવાલ તા.પાદરા ખાતે રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે. 283 કરતા વધુ જગ્યા માટે ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેશેઆ ભરતી મેળામાં ઓફિસ આસિસ્ટન્ટ, ડિસ્પેચ એક્ઝિક્યુટિવ, સ્ટોર્સ એક્ઝિક્યુટિવ, સેક્રેટરી કમ ડોક્યુમેન્ટ કન્ટ્રોલર, કસ્ટમર સર્વીસ ટ્રેઈની, ક્વોલિટી સોર્ટર, રિલેશનશિપ મેનેજર, આસિસ્ટનટ પરચેસ, ઓપરેટર, પ્રોડક્શન આસિસ્ન્ટ, ગેસ્ટ સર્વીસ એજ્ન્ટ, સુપરવાઇઝર, ટેલીકોલર જેવી 283 કરતા વધુ જગ્યા માટે સર્વિસ સેક્ટર અને મેન્યુફેક્ચરિંગ કંપનીના પ્રતિનિધિ હાજર રહીને ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેશે. ભરતી મેળામાં 12 પાસ ,ગ્રેજ્યુએટ (બીકોમ/બીએ/બીબીએ) જેવી લાયકાત ધરાવતા 18થી 40 વર્ષના પુરુષ અને મહીલા ઉમેદવારો ભાગ લઈ શકશે. અનુબંધમ અને એનસીએસ પોર્ટલ પર નામ નોંધણી કેમ્પ યોજવામા આવશેભરતી મેળામાં ઉમેદવારોને રોજગારી ઉપરાંત વિદેશ રોજગાર અને અભ્યાસ માટે સેફ લીગલ માઈગ્રેશન અંગે તેમજ પ્રધાનમંત્રી વિકસીત ભારત રોજગાર યોજના (PMVBRY)તેમજ સ્વરોજગાર લોન સહાય યોજના અંગે તજજ્ઞ વકતા દ્વારા માહીતી અને માર્ગદર્શન આપવામા આવશે તેમજ સરકારી ઓનલાઈન જોબ પોર્ટલ અનુબંધમ અને એનસીએસ પોર્ટલ પર નામ નોંધણી કેમ્પ યોજવામા આવશે. આ રોજગાર મેળા માટે રસ ધરાવતા ઉમેદવારોએ 5 (પાંચ) બાયોડેટા /રેઝયુમ સાથે સ્વ ખર્ચે ભરતી મેળાના સ્થળ પર હાજર રહેવાનુ રહેશે. સદર ભરતી મેળામાં આયોજન માટે અને પસંદગી પ્રક્રીયામાં ઉમેદવાર કે નોકરીદાતાએ કોઈ ફી કે ચાર્જ ચુકવવાનો નથી. તેની તમામે ખાસ નોંધ લેવા રોજગાર અધિકારીની યાદીમાં જણાવ્યું છે.
અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લઈ AMC દ્વારા ટ્રાફિક પોલીસ સાથે દબાણો દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત શહેરના નરોડા વિસ્તારમાં GEB રોડ પર આવેલા વેજીટેબલ માર્કેટ પાસે દબાણો દૂર કરવાની કામગીરી સમયે પોલીસ અને ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. વેજીટેબલ માર્કેટની બહાર ઉભા રહીને ધંધો કરતા લારીવાળાઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે બાદ તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા હુમલો કરનારા લોકોનો સામાન ભરી લેવામાં આવ્યો હતો. આ હુમલાની ઘટનામાં 1 પોલીસકર્મીને ઈજા થતાં હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
રાજકોટ શહેરમાં મિશ્ર ઋતુ વચ્ચે સિઝનલ રોગચાળો યથાવત રહ્યો છે. અઠવાડિયામાં ડેંગ્યુના નવા બે સહિત 2315 કેસની નોંધ થઇ છે. તો મચ્છરનો ઉપદ્રવ ખુબ વધ્યો હોય, મેલેરીયા શાખાની ડ્રાઇવમાં વધુ 384 મિલ્કતધારકને નોટીસ આપવામાં આવ્યાનું જાહેર કરાયું છે. આ સપ્તાહમાં પણ આશ્ર્ચર્ય વચ્ચે મેલેરીયા કે ચીકનગુનીયાનો કોઇ કેસ જાહેર થયો નથી. સરકારી ચોપડે લગભગ ત્રણ સપ્તાહથી રોગચાળાના દર્દીઓની સંખ્યા સ્થિર તા. 15થી 21 ડિસેમ્બર દરમિયાન ડેન્ગ્યુના બે કેસ સામે આવ્યા છે તો અઠવાડિયામાં શરદી-ઉધરસના 1264, સામાન્ય તાવના 836, ઝાડા-ઉલ્ટીના 212 અને કમળાનો એક કેસ આવ્યો છે. ગત સપ્તાહે કુલ દર્દીઓની સંખ્યા 2328 અને આ સપ્તાહે 2315 નોંધાઇ છે. આ રીતે સરકારી ચોપડે લગભગ ત્રણ સપ્તાહથી રોગચાળાના દર્દીઓની સંખ્યા સ્થિર જેવી રહી છે. 664 ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવીઆરોગ્ય શાખાએ મચ્છરોના વધેલા ખતરા વચ્ચે જણાવ્યું છે કે, ડેંગ્યુ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વધુ જનસમુદાય હોય તેવા સ્થાળોએ આવા રોગ ફેલાવવાનું જોખમ વઘુ રહે છે. આરોગ્ય તંત્ર દ્વારા ડેંગ્યુુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા કામગીરી ચાલે છે. તા.15 થી તા.21 દરમ્યાન 27,511 ઘરોમાં પોરાનાશક અને 664 ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી છે. સંવેદનશીલ સોસાયટી, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારોમાં સઘન ફોગીંગ ચાલુ છે. 67 આસામીને નોટીસ આપવામાં આવ્યાનું વિભાગે જણાવ્યું રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો પર ચકાસણી કરી નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી ચાલુ છે. જે અંતર્ગત 495 મિલ્કતોમાં તપાસ કરીને રહેણાંકમાં 317 અને કોર્મશીયલમાં 67 આસામીને નોટીસ આપવામાં આવ્યાનું વિભાગે જણાવ્યું હતું. પાણીજન્ય રોગ અટકાયતી પગલાના ભાગરૂપે 726 કલોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે.અલગ અલગ વિસ્તારમાં રહેણાંક, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ, નદી કાંઠે સઘન ફોગીંગ કામગીરી ચાલી રહી છે. વુમન ફોર ટ્રી કેમ્પેઇનનો મંગળવારથી પ્રારંભ, દરેક વૃક્ષને નામ આપી જીઓ ટેગિંગ થશેકેન્દ્રના આવાસ અને શહેરી બાબતો મંત્રાલય દ્વારા અમૃત 2.0 અંતર્ગત ‘વુમન ફોર ટ્રી કેમ્પેઇન’ લાગુ કરવામાં આવેલ છે. જેમાં, ડે-એનયુએલએમ હેઠળના સ્વ-સહાય જૂથો દ્વારા વૃક્ષારોપણ અને તેની કાળજી લેવાની કામગીરી કરવામાં આવનાર છે.શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ ‘વુમન ફોર ટ્રી કેમ્પેઇન’ કેમ્પનો રાજય કક્ષાએ પ્રારંભ શહેરી વિકાસ રાજય મંત્રી ધોળકા ખાતે કરાવવાના છે. જેની સાથોસાથ 69 મહાનગરપાલિકા, નગરપાલિકાઓમાં પણ સમાંતર રીતે આ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. રાજકોટ મનપા દ્વારા કાલે મંગળવારના સવારે 9 કલાકે વોર્ડ નં-3માં શરણમ હાઇટ્સ સામે 60 ફુટ રોડ ખાતે આ અભિયાન શરૂ થશે.આ કાર્યક્રમ થકી સ્વ-સહાય જુથની બહેનોને રોજગારી મળી રહે તે તથા તેઓ આત્મનિર્ભર બનાવવાના હેતુસર ક્રેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. મહાનગરપાલિકા દ્વારા વૃક્ષોનું વાવેતર તથા જતન કરવામાં આવનાર છે. આ તમામ વૃક્ષોનાં વાવેતરનું કામ સ્વ-સહાય જુથની બહેનો કરશે. આ સાથે જ પ્રધાનમંત્રીનાં ડ્રીમ પ્રોજેક્ટ એક પેડ માં કે નામ અન્વયે દરેક વૃક્ષોનું નામકરણ કરવામાં આવનાર છે. આ તમામ વૃક્ષોનું અમૃત પોર્ટલ પર ફોટોગ્રાફ સાથે જીઓટેગિંગ પણ કરવામાં આવશે.
ગીર સોમનાથ જિલ્લામાં પી.એમ. પોષણ યોજના હેઠળ ફરજ બજાવતા માનદવેતન ધારકોની કામગીરી સુધારવા માટે જિલ્લા કક્ષાની કૂકિંગ સ્પર્ધા યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધા પરંપરાગત સ્વાસ્થ્યપ્રદ વાનગીઓ પર કેન્દ્રિત હતી. આ સ્પર્ધા વેરાવળ પે. સેન્ટર શાળા નં. 1 ખાતે આયોજિત કરાઈ હતી. જિલ્લા પુરવઠા અધિકારી પી.ડી. વાંદાએ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી. ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી તાલુકા કક્ષાએ પ્રથમથી તૃતીય ક્રમાંક મેળવનાર સ્પર્ધકોએ તેમાં ભાગ લીધો હતો. સ્પર્ધાના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. કોડીનાર તાલુકાની રામનગર પ્રાથમિક શાળાના કુક-કમ-હેલ્પર ગૌસ્વામી જયોતિબેનને પ્રથમ ક્રમાંક બદલ રૂ. 8,000/- નો ચેક એનાયત કરાયો હતો. દ્વિતીય ક્રમાંક કોડીનાર તાલુકાની સિંધાજ કન્યા શાળાના મદદનીશ ગૌસ્વામી મનિષાબેનને મળ્યો હતો, તેમને રૂ. 5,500/- નો ચેક અપાયો હતો. ગીરગઢડા તાલુકાની ધોકડવા કન્યા શાળાના સંચાલક કાતરીયા ગીતાબેન કેશુભાઈને તૃતીય ક્રમાંક બદલ રૂ. 4,500/- નો ચેક અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં કુલ 18 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. વિજેતાઓ સિવાયના બાકીના 15 સ્પર્ધકોને પ્રોત્સાહનરૂપે જિલ્લા પુરવઠા અધિકારી તરફથી રૂ. 1,000/- અને પી.એમ. પોષણ યોજના, ગીર સોમનાથ મંડળ તરફથી ડિનર સેટ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે વેરાવળ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોના સ્વાસ્થ્ય માટે કરાયેલી પહેલને પણ બિરદાવવામાં આવી હતી. કિચન ગાર્ડનમાં ઓર્ગેનિક શાકભાજી ઉગાડવા અને તેનો ભોજનમાં ઉપયોગ કરવા તેમજ તિથિ ભોજનમાં બાળકોને ફળો આપવા બદલ પ્રાથમિક શિક્ષણાધિકારી, બી.આર.સી., આચાર્ય અને શિક્ષકોને જિલ્લા પુરવઠા અધિકારીના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લા સ્તરના અધિકારીઓ, મધ્યાહ્ન ભોજન યોજનાના કર્મચારીઓ, શાળાના આચાર્યો, શિક્ષકો તથા પી.એમ. પોષણ યોજનાના માનદવેતન ધારકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
સુરત શહેરમાં વહેતી તાપી નદીના કિનારે અવારનવાર બનતી ડૂબી જવાની ઘટનાઓમાં વધુ એક કિસ્સો ઉમેરાયો છે. સુરતના સવજી કોરાટ બ્રિજ નીચે ન્હાવા ઉતરેલા 20 વર્ષના ઉત્તર પ્રદેશના વતની એવા યુવાનનું પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. ફાયર વિભાગની જહેમત બાદ યુવાનને બહાર કાઢવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચતા સુધીમાં તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. મિત્ર સાથે ન્હાવા ગયો અને દુર્ઘટના ઘટીમળતી વિગતો અનુસાર, મૂળ ઉત્તર પ્રદેશનો વતની અને હાલ સરથાણા સીમાડા નાકા પાસે આવેલી જલદર્શન સોસાયટીમાં રહેતો મિથિલેસ શિવચરણ રાજપૂત (ઉં.વ. 20) કલરકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદરૂપ થતો હતો. સોમવારે સવારે મિથિલેસ તેના મિત્ર દિવ્યેશ સાથે સવજી કોરાટ બ્રિજ નીચે તાપી નદીના કિનારે ફરવા અને ન્હાવા માટે ગયો હતો. ગણતરીની મિનિટોમાં જ ડૂબવા લાગ્યોપ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, મિત્ર દિવ્યેશ હજુ કિનારા પર જ ઊભો હતો ત્યારે મિથિલેસે ઉત્સાહમાં આવી નદીના પાણીમાં છલાંગ લગાવી હતી. જોકે, પાણીના વહેણ કે ઊંડાઈનો અંદાજ ન આવતા તે ગણતરીની મિનિટોમાં જ ડૂબવા લાગ્યો હતો. ફાયર બ્રિગેડનું રેસ્ક્યુ ઓપરેશનમિત્રને ડૂબતો જોઈ ગભરાઈ ગયેલા દિવ્યેશે તાત્કાલિક બૂમાબૂમ કરી હતી અને તુરંત જ ફાયર બ્રિગેડ તેમજ પરિવારના સભ્યોને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને નદીમાં શોધખોળ આદરી હતી. કલાકોની જહેમત બાદ મિથિલેસને બેભાન અવસ્થામાં પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. સ્મીમેર હોસ્પિટલમાં મૃત જાહેર કરાયોઘટનાસ્થળે હાજર 108 એમ્બ્યુલન્સ મારફતે મિથિલેસને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. જુવાનજોધ દીકરાના મોતના સમાચાર સાંભળતા જ પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. નદીમાં ઉતરવું જોખમી હોવા છતાં લોકો સાવચેતી રાખતા નથીઆ મામલે કાપોદ્રા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મિથિલેસના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સવજી કોરાટ બ્રિજ અને તેની આસપાસના વિસ્તારોમાં નદીમાં ઉતરવું જોખમી હોવા છતાં લોકો સાવચેતી રાખતા નથી, જેનું પરિણામ આવા ગંભીર અકસ્માતોમાં આવે છે.
પંચમહાલ સહિત રાજ્યભરના સરકારી પ્રાથમિક શિક્ષકો માટે યોજાયેલા જિલ્લા આંતરિક બદલી કેમ્પમાં ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જોકે, ટેકનિકલ સમજફેરના કારણે પંચમહાલ જિલ્લાના 451 સહિત રાજ્યભરના સેંકડો શિક્ષકોની ચિંતા વધી છે. ઓનલાઈન ફોર્મમાં થયેલી નાની ક્ષતિઓને કારણે તાલુકા કક્ષાએથી આ ફોર્મ રદ થઈ રહ્યા હોવાની માહિતી મળી રહી છે. શિક્ષકો શાળામાં દાખલ તારીખ અને હુકમ તારીખ વચ્ચેની ગૂંચવણમાં અટવાયા છે. આ બાબતની સ્પષ્ટ સમજ ન હોવાથી અનેક શિક્ષકોએ ખોટી વિગતો ભરી દીધી છે. આ ઉપરાંત, અંતિમ દિવસોમાં સર્વર ડાઉન રહેતા શાળા પસંદગીમાં પણ ભૂલો થઈ છે. હાલ વેરીફિકેશન ચાલી રહ્યું છે ત્યારે આ ટેકનિકલ ભૂલોના કારણે અરજીઓ રદ થઈ રહી હોવાથી અનેક શિક્ષકો પોતાનો હક ગુમાવવાની સ્થિતિમાં આવી ગયા છે. પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલના જણાવ્યા મુજબ, જિલ્લામાંથી આંતરિક બદલી માટે કુલ 451 અરજીઓ મળી હતી. ફોર્મ ભરવાની મુદત 19 ડિસેમ્બરે પૂર્ણ થઈ હતી. આ મામલે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે મેદાનમાં આવી સરકાર સામે પોર્ટલ ફરી શરૂ કરવાની માંગ કરી છે. ગુજરાત રાજ્યના પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ઓનલાઈન અરજી કરતી વખતે નાની-મોટી ક્ષતિઓ થવી સ્વાભાવિક છે. ગત વર્ષે આવી ભૂલો સુધારવા માટે તાલુકા કક્ષાએ ટીપીઓ લોગિનમાં સુધારાની તક આપવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, આ વખતે તારીખોની ગૂંચવણને કારણે થયેલી ભૂલોથી અરજીઓ સીધી રદ થઈ રહી છે. આથી, અમે શિક્ષણ નિયામકને રજૂઆત કરી છે કે આગામી 2-3 દિવસ માટે પોર્ટલ ફરી ખોલવામાં આવે અથવા સુધારાની તક આપવામાં આવે. જો આવતીકાલ સુધીમાં આનો કોઈ હકારાત્મક ઉકેલ નહીં આવે તો અમે રાજ્યના શિક્ષણ મંત્રીને રૂબરૂ મળીને લેખિત અને મૌખિક ઉગ્ર રજૂઆત કરીશું.
દાહોદ નગરપાલિકાએ સ્વચ્છતા, જાહેર આરોગ્ય અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે સ્ટેશન રોડ વિસ્તારમાં ‘સરપ્રાઈઝ મેગા ઓપરેશન’ હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન ગંદકી, ધુમાડો અને દબાણ સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરતી 7 હોટલોને સીલ કરવામાં આવી હતી. નાગરિકોની લાંબા સમયથી આવતી ફરિયાદોને ગંભીરતાથી લઈ, નગરપાલિકાની ફૂડ અને દબાણ વિભાગની સંયુક્ત ટીમોએ વહેલી સવારથી જ ઓચિંતું ચેકિંગ શરૂ કર્યું હતું. ચેકિંગ દરમિયાન, ભૂગર્ભ ગટરમાં એઠવાડ નાખવા, પેવર બ્લોક અને મુખ્ય માર્ગ પર ગંદકી ફેલાવવા, તેમજ ફૂટપાથ પર દબાણ કરીને વેપાર ચલાવવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. આ ગંભીર ઉલ્લંઘનોને પગલે, પાલિકાએ કુલ 7 હોટલો સીલ કરી દીધી, જેમાં 4 નોનવેજ અને 3 વેજ રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સ્માર્ટ રોડના ફૂટપાથ પર ગેરકાયદે બેસતા લારી-ગલ્લાના દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા. પાલિકાના અધિકારીઓએ જણાવ્યું કે, ચાઈનીઝ અને નોનવેજ લારીઓમાંથી નીકળતો વઘારનો ધુમાડો રસ્તે ચાલતા નાગરિકોની આંખોમાં બળતરા પેદા કરતો હોવાની અનેક ફરિયાદો મળી હતી. આ ફરિયાદોના આધારે જ ધુમાડો, ગંદકી અને આરોગ્યને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નગરપાલિકાના મુખ્ય અધિકારીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, “નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓને કોઈ રીતે સાંખી લેવામાં આવશે નહીં. જ્યાં સુધી સ્વચ્છતા અંગે લેખિત બાંહેધરી આપવામાં નહીં આવે, ત્યાં સુધી સીલ કરાયેલા એકમો ફરી ખોલવા દેવામાં આવશે નહીં. આવી ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે.” આ આકરી કાર્યવાહીથી શહેરના હોટલ સંચાલકો તેમજ લારી-ગલ્લા ધારકોમાં ફફડાટ ફેલાયો છે. નગરપાલિકાએ સ્વચ્છ, સુરક્ષિત અને ટ્રાફિક મુક્ત સ્માર્ટ સિટી દાહોદ બનાવવા માટે કમર કસી લીધી હોવાનું આ કાર્યવાહીથી સ્પષ્ટ થયું છે.
રાજકોટ શહેરના નાનામવા રોડ પર આવેલી શાસ્ત્રીનગર સોસાયટીમાં ખોદકામ બાદ રસ્તા સંપૂર્ણ બિસ્માર થઇ ગયા છે. જેથી હવે ડામર કામ કરવામાં ન આવે તો 1200 આવાસની સોસાયટીના 7000 જેટલા લોકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી સાથેનું એક આવેદન વિસ્તારવાસીઓ દ્વારા મેયરને આપવામાં આવ્યુ હતુ. આ દરમિયાન શાસક પક્ષના નેતા અને વોર્ડ નંબર 11 ના કોર્પોરેટરે સોસાયટીના ડામોર થી મઢવાનું બજેટ ખૂબ મોટું છે આમ છતાં પણ પાકા રસ્તા માટે પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતુ. આજે શાસ્ત્રીનગર ઓનર્સ સર્વિસ એસોસીએશન દ્વારા મહાપાલિકા ખાતે મેયર નયનાબેન પેઢડીયા અને શાસક પક્ષ નેતા લીલુબેન જાદવને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમાં જણાવ્યું છે કે આ સોસાયટી જ્યારે કોર્પોરેશનમાં ભળી ત્યારે રસ્તા સારા હતા પરંતુ 2010-11માં સોસાયટીમાં પાણીની પાઇપલાઇન અને ડ્રેનેજ કનેકશન આપવામાં આવતા રસ્તા તૂટ્યા હતા. આ બાદ સોસાયટીએ 80:20 ની સ્કીમ હેઠળ જાતે ફાળો આપીને રોડના કામ કરાવ્યા હતા પરંતુ છેલ્લા 15 વર્ષથી સોસાયટીમાં કયારેય નવા ડામર કામ કરવામાં આવ્યા નથી. આ દરમિયાન પૂર્વ કોર્પોરેટરની ભલામણથી એકશન પ્લાનમાં માત્ર મેઇન રોડની કામગીરી કરવામાં આવી હતી. જે બાદ અત્યારસુધી કોર્પોરેટર, ધારાસભ્યો, સાંસદ દ્વારા સોસાયટીમાં તેમની ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તો શું સૌથી મોટો એડવાન્સ વેરો ભરતી સોસાયટી કોર્પોરેશનના નકશામાં નથી? સોસાયટીમાં તા. 17-4-2025થી ડીઆઇ પાઇપલાઇનનું કામ કરાતા અગવડતા વધી ગઇ છે. સોસાયટીના લોકો ડામર રોડની રાહ જોતા હતા ત્યારે ઉલ્ટાનું નવું ખોદકામ કરાતા રસ્તા બિસ્માર બની ગયા છે. હવે આગામી દિવસોમાં સોસાયટીના સંપૂર્ણ રોડ ડામરથી મઢવામાં નહીં આવે તો 1200 આવાસની સોસાયટીના 7000 જેટલા લોકો ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરશે. આ રજુઆતમાં પ્રમુખ જી.એ.જાડેજા, ઉપપ્રમુખ કે.બી.રાણા, સેક્રેટરી કે.વી.પાઠક વગેરે જોડાયા હતા.શાસક નેતા અને વોર્ડ નં.11ના કોર્પોરેટર લીલુબેન જાદવે કહ્યું હતું કે, સમગ્ર સોસાયટીને ડામરથી મઢવાનું બજેટ ઘણું મોટુ છે છતાં તેનું એસ્ટીમેટ કાઢી લેવામાં આવ્યું છે. ટુંક સમયમાં આ ખર્ચ મંજૂર કરવા પણ આયોજન કરાયું છે. લોકોને વહેલાસર પાકા રોડની સુવિધા મળે તે માટે શાસકો પ્રયત્નશીલ છે.
Bulandshahr Gang Rape Case : ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં 28 જુલાઈ 2016ની રાત્રે નેશનલ હાઈવે-91 પર ગાઝિયાબાદના એક પરિવાર સાથે બનેલી અત્યંત શરમજનક ઘટનાના કેસમાં કોર્ટે મહત્ત્વનો ચુકાદો સંભળાવ્યો છે. વિશેષ પોક્સો ન્યાયાધીશ ઓ.પી.વર્માએ આ કેસના તમામ પાંચ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી પીડિત પરિવારને 9 વર્ષે ન્યાય આપ્યો છે. આ સાથે કોર્ટે પ્રત્યેક દોષિત પર 1.81 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે, જેમાંથી અડધી રકમ પીડિત માતા અને પુત્રીને આપવામાં આવશે.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં થયેલા રક્ષિત કાંડમાં આરોપી રક્ષિતને ગુજરાત હાઇકોર્ટમાંથી જમીન મળ્યા છે. હોળીના રોજ રાત્રે ગાંજોનો નશો કરી રક્ષિત ચૌરસિયાએ વડોદરાના આમ્રપાલી રોડ પાસે 8 લોકોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે 7ને ઈજા થઈ હતી. આ કેસમાં 9 મહિનાથી આરોપી રક્ષિત વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. 8 લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતાવડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે 13 માર્ચ, 2025ની રાત્રે નશામાં ચૂર કારચાલકે 8 લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા. જેમાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમના પતિ પૂરવ પટેલને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનામાં એક બાળક-બાળકી સહિત કુલ 7ને ઈજા થઈ હતી. અકસ્માત બાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે આરોપી કારચાલક રક્ષિત રવિશ ચૌરસિયા (વારાણસી, ઉત્તરપ્રદેશ)ની ધરપકડ કરી સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો હતો. આ પણ વાંચો - રક્ષિત ચૌરસિયાએ ગાંજો પી અકસ્માત સર્જ્યો હોવાનો ઘટસ્ફોટ:13 માર્ચે રાત્રે વડોદરામાં 8ને અડફેટે લેતાં 1નું મોત નીપજ્યું હતું, 3 સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો Another Round અને નિકિતાને લઈને રહસ્ય સર્જાયુંરક્ષિત અકસ્માત કર્યા બાદ કારમાંથી નીચો ઊતર્યો હતો અને Another Round - Another Roundની બૂમો પાડવા લાગ્યો હતો. આ ઉપરાંત તે 'નિકિતા મેરી...' એવી પણ બૂમો પાડતો હતો. ત્યારબાદ Another Round અને નિકિતાને લઈને રહસ્ય સર્જાયું છે. આરોપીએ રેગ્યુલર જામીન અરજી કોર્ટમાં દાખલ કરી હતી, જેને હાઇકોર્ટે મંજૂર કરીઉલ્લેખનીય છે કે, આ પહેલા આરોપી રક્ષિતે રેગ્યુલર જામીન અરજી કોર્ટમાં દાખલ કરી હતી. જેમાં વડોદરા કોર્ટના છઠ્ઠા એડિશનલ સેશન્સ જજ પ્રશાંત નરેન્દ્રકુમાર રાવલ દ્વારા બંને વકીલની દલીલોને ધ્યાનમાં રાખી આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ રક્ષિતે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી, જેને હાઇકોર્ટે મંજૂર કરી છે. શું બન્યું હતું હોળીની રાત્રે?વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે 13 માર્ચ, 2025એ રાત્રે નશામાં ચૂર કારચાલકે 8 લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા, જેમાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમના પતિ પૂરવ પટેલને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનામાં કુલ એક બાળક અને એક બાળકી સહિત 7ને ઈજા થઈ હતી. અકસ્માત બાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે આરોપી કારચાલક રક્ષિત રવિશ ચૌરસિયા (વારાણસી, ઉત્તરપ્રદેશ)ની ધરપકડ કરી સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો હતો. જ્યારે રક્ષિત ચૌરસિયાની બાજુમાં બેઠેલા પ્રાંશુ ચૌહાણની અટકાયત કરાઈ હતી. કારચાલક રક્ષિત ચૌરસિયા એમ.એસ.યુનિવર્સિટીમાં કાયદાનો, જ્યારે પ્રાંશુ ચૌહાણ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. અકસ્માત બાદ આરોપીઓના બ્લડ સેમ્પલને FSLમાં મોકલવામાં આવ્યા હતાકારેલીબાગ વિસ્તારમાં થયેલા અકસ્માત બાદ આરોપી રક્ષિત ચોરસીયા, પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમના બ્લડ સેમ્પલને FSLમાં મોકલવામાં આવ્યા હતા. જેના રિપોર્ટમાં રક્ષિત, પ્રાંશુ અને સુરેશના બ્લડ સેમ્પલમાં ગાંજાની હાજરી જોવા મળી હતી. જેથી કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ત્રણેય સામે એનડીપીએસ એકટની કલમ-27A મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણેયને આરોપી દર્શાવાયા હતા. કારની સ્પીડ 140 હતીઘટનામાં વોક્સ વેગન કંપનીના પુણે સ્થિત પ્લાન્ટના 3 સેફ્ટી ઓફિસર વડોદરા આવ્યા હતા અને કારનો ડેટા લઈ ગયા હતા. આ ડેટા જર્મની ખાતે મોકલવામાં આવ્યો હતો. અકસ્માત સમયે કારનું ડોંગલ પ્રાંશુના મોબાઈલની MY VW એપ્લિકેશન સાથે કનેક્ટ હતું. જેથી, પોલીસે તેનો પણ રિપોર્ટ મેળવી લીધો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં કારની સ્પીડ 140 હતી.
ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે આયોજિત સોનુ નિગમના લાઈવ કોન્સર્ટના કોમ્પ્લિમેન્ટ્રી પાસ મેળવવા માટે હાઈકોર્ટના જજ અને તેમના જમાઈ તરીકેની ખોટી ઓળખ આપનાર એક શખસને LCB પોલીસે ઝડપી પાડ્યો છે. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા યુવકે LCB કચેરીએ જઈને હાઈકોર્ટ જજના જમાઈ તરીકેની ઓળખ આપી પાસ માગ્યા હતા. હાજર પોલીસ કર્મચારીએ તેને પીઆઇ પાસે લઈ ગયા હતા. જોકે, એલસીબી પીઆઇએ ક્રોસ કરતા હાઈકોર્ટ જજના જમાઈનો રૂઆબ ઉતારી દઈ તેને જેલના સળિયા ગણતો કરી દીધો હતો. જજનો જમાઈની ઓળખ આપી સોનુ નિગમના કોન્સર્ટના પાસ માગ્યારવિવારે બપોરે અમદાવાદનો જય જીગ્નેશભાઈ શાહ નામનો શખસ ગાંધીનગર LCB-2ની ઓફિસે પહોંચ્યો હતો. તેણે ત્યાં હાજર પોલીસકર્મીઓને જણાવ્યું હતું કે, હું ગુજરાત હાઈકોર્ટના જજ સાહેબનો જમાઈ છું અને મારે પી.આઇ સાહેબને મળવું છે. પોલીસકર્મી તેને પીઆઇ એચ.પી પરમાર પાસે લઈ ગયો હતો. ત્યાં તેણે જજના જમાઈ તરીકે ઓળખ આપીને ગિફ્ટ સિટીમાં યોજાનાર સોનુ નિગમના કોન્સર્ટના પાસની માગ કરી હતી. તેણે એવો પણ દાવો કર્યો હતો કે તેના સસરા (જજ)એ આ બાબતે અગાઉ પીઆઇને ફોન પણ કર્યો હતો. પીઆઇને યુવકના વર્તન ઉપર શંકા જતા તપાસ કરીજોકે, આ શખસની શંકાસ્પદ વર્તણૂક અને વાત કરવાની રીતને કારણે પીઆઇ પરમારને શંકા ગઈ હતી. પીઆઇના મોબાઈલ પર અગાઉ બે અલગ અલગ નંબરથી ફોન આવ્યા હતા. જેમાં એક વ્યક્તિએ પોતાની ઓળખ જજ તરીકે આપી અને બીજાએ તેમના જમાઈ તરીકે ઓળખ આપી હતી. આથી વધુ તપાસ કરતા જણાવા મળ્યું હતું કે, આ બંને નંબર સામે બેઠેલા જય શાહ પાસે જ હતા. પોલીસે તપાસ કરતા હાઈકોર્ટમાં આ નામના કોઈ જજ નહોતાપીઆઇએ આ અંગે વધુમાં હાઈકોર્ટમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, યુવકે જણાવેલા નામના કોઈ વ્યક્તિ જજ તરીકે ફરજ બજાવતા નથી. પોલીસે જ્યારે તેનો મોબાઈલ ચેક કર્યો ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં યુવકે જજના નામથી અનેક લોલોને મેસેજ કર્યા હતા અને તેનું વોટ્સએપ આઇડ પણ જજના નામથી બનાવ્યું હતું. પોલીસે જય જીગ્નેશ શાહ સામે ગુનો દાખલ કર્યોપોલીસની કડક પૂછપરછમાં યુવકે કબૂલાત કરી હતી કે, તેને મફતમાં સોનુ નિગમનો કોન્સર્ટ જોવો હતો. તેથી તેણે આ નકલી ઓળખ ઉભી કરી હતી. પોલીસે આરોપી જય જીગ્નેશભાઈ શાહ પાસેથી બે મોબાઈલ ફોન અને એક વેગન-આર કાર જપ્ત કરી છે. આ મામલે સેક્ટર 21 પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલ તથા સાંસદ સંજય સિંહની અરજીઓ નામંજૂર કરી હતી. જેની સામે તેઓ ગુજરાત હાઇકોર્ટમાં અપીલમાં પહોંચ્યા છે. કોર્ટે બંને પક્ષોને સાંભળીને ચુકાદો અનામત રાખ્યો છે. મૂળ આ કેસમાં તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગે 2023માં કરેલા નિવેદનોને લઈ ગુજરાત યુનિવર્સિટીએ દાખલ કરેલા માનહાનિના કેસમાં રાહત માંગી હતી. નિર્ણયને અયોગ્ય ગણાવી રદ કરવાની માંગ કરી હતીઅમદાવાદ મેજિસ્ટ્રેટ કોર્ટ બંને રાજકારણીઓ સામેના ફોજદારી માનહાનિના કેસની કાર્યવાહી ચલાવી રહી હોવાથી, કેજરીવાલે પોતાની ટ્રાયલ સંજયસિંહની ટ્રાયલથી અલગ કરવાની અરજી કરી હતી. તેમનો દાવો હતો કે, તેમની ઉપર કાવતરું અથવા સામાન્ય ગુનાહિત ઇરાદાને આગળ વધારવાનો કોઈ આરોપ નથી, તેથી કોર્ટે તેમની ટ્રાયલ સિંહની ટ્રાયલથી અલગ કરવી જોઈએ. સંજય સિંહે પોતાની ગેરહાજરીમાં પરંતુ પોતાના વકીલોના નિર્દેશ મુજબ પોતે નિર્દોષ હોવાનો દાવો નોંધાવતા, ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC)ની કલમ 251 હેઠળ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા તેમના વકીલની હાજરીમાં તેમની પ્લી નોંધવાના નિર્ણયને પડકાર્યો હતો. તેમણે આ નિર્ણયને અયોગ્ય ગણાવી રદ કરવાની માંગ કરી હતી. મેજિસ્ટ્રેટ કોર્ટે બંને રાજકારણીઓની અરજીઓ નામંજૂર કરી હતી, જેને લઈને તેમણે નીચલી કોર્ટના આદેશોને પડકાર્યા હતા. ગુજરાત યુનિવર્સિટીના વકીલ અમિત નાયરે બંને અરજીઓનો કડક વિરોધ કર્યો હતો. કેજરીવાલની અરજીની સુનાવણી બાદ વધારાના સેશન જજ એમ. પી. પુરોહિતે કેજરીવાલની ટ્રાયલ અલગ કરવાની માગણી નામંજૂર કરી હતી. ગુજરાત યુનિવર્સિટીએ એપ્રિલ 2023માં માનહાનિની ફરિયાદ દાખલ કરી હતીકોર્ટે કહ્યું હતું કે એવું લાગે છે ,કે બંને એક જ ઘટનાક્રમમાં સામેલ હતા, જે એક સામાન્ય હેતુથી પ્રેરિત છે અને તેમની કાર્યવાહીમાં સતતતા છે. તેમણે માનહાનિકારક ભાષાનો ઉપયોગ કર્યો છે અને સંબંધિત ઘટનાક્રમ દરમિયાન એક વીડિયો પણ અપલોડ કર્યો છે. તેથી પ્રાથમિક દૃષ્ટિએ, CrPCની કલમ 223ની ઉપકલમ (a)ની જોગવાઈ હાલના કેસના તથ્યો પર લાગુ પડે છે. સંજયસિંહની અરજી નામંજૂર કરતાં કોર્ટે જણાવ્યું છે કે, જે આદેશ આરોપીના પોતાના પ્રારંભ અને આમંત્રણ પર તેના હિતમાં પસાર થયો હોય, તેને કોર્ટ રદ કરી શકતી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગે રાજકારણીઓ દ્વારા કરાયેલા નિવેદનોને લઈને ગુજરાત યુનિવર્સિટીએ એપ્રિલ 2023માં માનહાનિની ફરિયાદ દાખલ કરી હતી. યુનિવર્સિટીએ પોતાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડતા માન હાનિકારક નિવેદનો અને સંકેતો કરાયા હોવાનું જણાવ્યું હતું, જેના આધારે મેટ્રોપોલિટન કોર્ટે કેસનો સંજ્ઞાન લઈને કેજરીવાલ અને સિંહને સમન્સ જારી કર્યા હતા. આ ઘટના, હાઇકોર્ટે મુખ્ય માહિતી કમિશન (CIC) દ્વારા ગુજરાત યુનિવર્સિટીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની MA ડિગ્રી જાહેર કરવાની આપેલી સૂચના રદ કરી હતી, તેના એક મહિના અંદર બની હતી.
રેલવેમાં મોટાભાગના લોકો મુસાફરી કરતા હોય છે. ત્યારે પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન હેઠળ સાબરમતી અને ખોડિયાર સ્ટેશનો વચ્ચે આવેલ ત્રાગડ ફાટક સમારકામને કારણે બંધ રહેશે. કુલ સાત દિવસ માટે આ ફાટક બંધ રહેશે. જેને લઈને આ રોડ પરથી પસાર થતાં વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગ પરથી પસાર થવું પડશે. રેલ્વે દ્વારા મળેલી માહિતી અનુસાર, AMC રોડ એપ્રોચિંગ અને હાઇટ ગેજના કામ માટે આ ફાટક 24 ડિસેમ્બરના રોજ સવારે 8 વાગ્યાથી 30 ડિસેમ્બરના રોજ સવારે 8 વાગ્યા સુધી, કુલ 7 દિવસ માટે બંધ રહેશે. સમારકામ કાર્યને કારણે બંધ રહેશેસાબરમતી અને ખોડિયાર સ્ટેશનો વચ્ચે આવેલ રેલ્વે ક્રોસિંગ નંબર 240 (કિમી 773/4-6), જે ત્રાગડ રોડ ફાટક તરીકે ઓળખાય છે, સમારકામ કાર્યને કારણે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન આ રોડ પરથી આવતા જતા લોકોએ વૈકલ્પિક માર્ગ તરીકે લેવલ ક્રોસિંગ નંબર 241 અંડરપાસ, ગોદરેજ ગાર્ડન સિટી અને એસ.જી. હાઇવે મારફતે મુસાફરી કરવાની રહેશે.
ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ અને યોજના વિભાગ દ્વારા શહેરના કંસારના બન્ને કાંઠે સ્વચ્છતા અંગે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ન્યુસન્સ કરતા 30 આસામીઓ પાસેથી રૂપિયા 8100નો દંડની વસુલાત કરવામાં આવી હતી અને કંસારા તથા અન્ય વોટર બોડીની આસપાસના રહેવાસીઓએ નદી કાંઠા અને તળાવ આસપાસ સ્વચ્છતા જાળવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. સ્વચ્છતા અને પ્લાસ્ટીક નાબુદી ઝુંબેશ દરમ્યાન ચેકીંગ હાથ ધરાયુંભાવનગર મહાનગર પાલીકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ અને યોજના વિભાગ દ્વારા અગાવ 13 વોર્ડમાં સ્વચ્છતા અને પ્લાસ્ટીક નાબુદી ઝુંબેશ દરમ્યાન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે આજરોજ શહેરમાં આવેલ કંસારાના બંને કાંઠે ન્યુસન્સ કરતા આસામીઓ સામે દંડનીય કાર્યવાહી અને સ્વચ્છતા બાબતે જન જાગૃતિ ફેલાવવા માટે ડ્રાઇવ યોજવામાં આવી હતી. સોલિડ વેસ્ટ વિભાગે 8500 નો દંડ વસૂલ્યોજેમાં 30 આસામીઓ પાસેથી રૂપિયા 8500 નો દંડ વસૂલવામાં આવ્યો હતો, અને વધુમાં ભાવનગર શહેરને સ્વચ્છ બનાવવા માટે તંત્ર દ્વારા ડ્રાઇવ સતત ચાલુ રહેવાની હોવાથી કંસારા તથા અન્ય વોટર બોડીની આસપાસના રહીશોએ નદી કાંઠા અને તળાવ આસપાસ સ્વચ્છતા જાળવવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જૂનાગઢ 22 રમતવીરોને પ્રોત્સાહન આપવા માટે જૂનાગઢના સરદાર પટેલ રમત સંકુલ ખાતે પોરબંદર લોકસભા વિસ્તારનો સાંસદ ખેલ મહોત્સવ - 2025નો ભવ્ય ફિનાલે 25 ડિસેમ્બરે 2025ના રોજ યોજાશે. જેમાં રમતવીરોને પ્રોત્સાહિત કરવા માટે પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય રમત ગમત મંત્રી મનસુખ માંડવીયા ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ પણ ઉપસ્થિત રહેશે. 25 ડિસેમ્બરે સાંસદ ખેલ મહોત્સવનો ફાઈનલજૂનાગઢમાં 25 ડિસેમ્બરે સાંસદ ફિનાલે સવારે 7 વાગ્યેથી સરદાર પટેલ રમત સંકુલ, ગાંધીગ્રામ, જુનાગઢ ખાતે યોજાશે. જેમાં સૌથી વધુ પોઈન્ટ્સ મેળવનાર વિધાનસભાને ચેમ્પિયન વિધાનસભા જાહેર કરવામાં આવશે. વિજેતા ખેલાડીઓને ટ્રોફી/મેડલથી સન્માનિત કરવામાં આવશે.આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રતિષ્ઠિત ખેલાડીઓ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેશે. ફિટ યુવા ફોર વિકસિત ભારત યુવા શકિત નો ઉત્સવ સાંસદ ખેલ મહોત્સવમાં (1) કબડ્ડી (2) ખો-ખો (3) યોગાસન (4) રસ્સા ખેંચ (5) શુટીંગ વોલીબોલ (6) કુસ્તી (ફ્રી સ્ટાઈલ) (7) એથલેટીક્સ (8) સિક્સ સાઈડ ટેનીસ ક્રિકેટ :- વયજૂથ : (A)અંડર-17 (B)અબવ-17 (C) અબવ-40 (5) ઓપન એઈજ રમતો રમાડવામાં આવી છે. 1800 ખેલાડીઓ ફાઈનલ સ્પર્ધાઓમાં ભાગ લેશેઆ સંદર્ભે જરૂરી જાણકારી આપતા ઇન્ચાર્જ કલેક્ટર અને કમિશનર તેજસ પરમારે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં રમતવીરોને પ્રોત્સાહિત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રાષ્ટ્રવ્યાપી વર્ચ્યુઅલી સંબોધન કરશે. 11-પોરબંદર લોકસભા વિસ્તાર હેઠળના તાલુકામાં જુદી જુદી સ્પર્ધાઓ યોજાયો બાદ અંતિમ તબક્કો જૂનાગઢ ખાતે યોજવામાં આવશે. આ સાંસદ ફિનાલેમાં સાત વિધાનસભાના ખેલાડીઓ અને ટીમો વચ્ચે જુદી જુદી 7 જેટલી પરંપરાગત રમતો સહિતની સ્પર્ધાઓ જુદી જુદી ચાર જુથમાં યોજાશે. જેમાં 1800 જેટલા ખેલાડીઓ ફાઈનલ સ્પર્ધાઓમાં ભાગ લેશે. આ સાંસદ ખેલ મહોત્સવથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પણ રમતગમત પ્રવૃત્તિઓને ખૂબ વેગ અને પ્રેરણા મળશે. ઉપરાંત રાજ્યમાં અમદાવાદ ખાતે કોમનવેલ્થ 2030 યોજાશે તથા ઓલમ્પિક 2036 માટે દાવેદારી કરી રહ્યા છીએ, ત્યારે યુવા શક્તિને રમત ગમત ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રેરણા મળશે. તેમણે જૂનાગઢ શહેર અને જિલ્લાના નાગરિકોને પણ આ ભવ્ય ફિનાલેને નિહાળવા આવવા માટે અનુરોધ કર્યો હતો. ઇનામ વિતરણનો સ્ટેજ કાર્યક્રમ યોજાશેઆ ફિનાલેનો સવારે 7 કલાકે પ્રતિભાગીઓના આગમન સાથે શરૂ થશે અને 7.30 કલાકે સ્પર્ધાનો પ્રારંભ થશે. આ સાથે મેડલ સેરેમની ઉપરાંત 10 કલાકે ઇનામ વિતરણનો સ્ટેજ કાર્યક્રમ યોજાશે. પોરબંદર લોકસભા વિસ્તારનો સાંસદ ખેલ મહોત્સવ - 2025નો પોરબંદરના સરદાર પટેલ રમત સંકુલ ખાતે 14 ડિસેમ્બર 2025ના રોજ ભવ્ય પ્રારંભ થયો હતો. આ પત્રકાર પરિષદમાં અધિક નિવાસી કલેકટર બી.એસ. બારડ, શહેર જિલ્લા પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, જિલ્લા રમત વિકાસ અધિકારી મનીષ જીલડીયા ઉપસ્થિત રહ્યાં હતાં.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પંથકમાં ગેરકાયદેસર કોલસાના કાળા કારોબાર પર વહીવટી તંત્રએ કડક કાર્યવાહી કરી છે. ચોટીલાના નાયબ કલેક્ટર અને થાનગઢના મામલતદારની ટીમે આજે વહેલી સવારથી જ જામવાળી ગામની સીમમાં દરોડા પાડી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાવી દીધો છે. આ ઓપરેશનમાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને થાનગઢ મામલતદારની સંયુક્ત ટીમ મેદાનમાં ઉતરી હતી. સૂર્યોદય પહેલાં જ ટીમે જામવાળી ગામની સીમમાં પહોંચી ગેરકાયદેસર કોલસાના કૂવાઓને તોડી પાડવાની અને લોડર મશીનો વડે બુરાણ કરવાની કામગીરી શરૂ કરી હતી. થાનગઢના જામવાળી ગામમાં લાંબા સમયથી તદ્દન ગેરકાયદેસર રીતે કોલસાના કૂવાઓ ખોદીને કિંમતી ખનીજની ચોરી કરવામાં આવી રહી હતી. આ પ્રવૃત્તિ માત્ર સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતી નહોતી, પરંતુ પર્યાવરણ અને સ્થાનિક સુરક્ષા માટે પણ મોટો ખતરો હતી. આજે, 22 ડિસેમ્બર, 2025ના રોજ, ચોટીલા સબ ડિવિઝનના અધિકારીઓની આગેવાનીમાં આ ખનીજ ચોરો સામે કડક કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. લોડર મશીનો દ્વારા એક પછી એક ગેરકાયદેસર કૂવાઓને માટીમાં મેળવી દેવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે કે, ગેરકાયદેસર ખનન કરનારા તત્વોને છોડવામાં આવશે નહીં. આ કાર્યવાહી હજુ પણ આગળ વધશે અને ખનીજ ચોરો સામે કડકમાં કડક પગલાં લેવાશે. આ કાર્યવાહીને કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
અમદાવાદ શહેરના રિજનલ પાસપોર્ટ કેન્દ્ર દ્વારા પાસપોર્ટ અરજદારો માટે નવી વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે. 1 જાન્યુઆરી, 2026થી પાસપોર્ટ સંબંધિત પૂછપરછ તથા દસ્તાવેજો જમા કરવાની પ્રક્રિયામાં નવી વ્યવસ્થા અમલમાં આવશે. રિઝનલ પાસપોર્ટ કેન્દ્ર, અમદાવાદના જણાવ્યા અનુસાર, યુનિવર્સિટી રોડ, ગુલબાઈ ટેકરા ખાતે આવેલા મુખ્ય પાસપોર્ટ કેન્દ્રમાં આવનાર અરજદારોની સુવિધા અને અરજીઓના ઝડપી નિકાલ માટે દર કાર્યદિવસે 100 ઓનલાઈન એપોઇન્ટમેન્ટ આપવામાં આવશે. અરજદારો પોતાની અનુકૂળ તારીખ અને સમય માટે અગાઉથી ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લઈ કાર્યાલયમાં હાજર રહી શકશે. ઓનલાઈન એપોઇન્ટમેન્ટ વગર પણ પૂછપરછ થઈ શકશેઆ સિવાય પાસપોર્ટ અરજદારોને દર સોમવાર અને બુધવાર (રજાના દિવસો સિવાય) સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી, કોઈપણ પ્રિ પ્લાન ઓનલાઈન એપોઇન્ટમેન્ટ વગર પણ પૂછપરછ કરવા અથવા દસ્તાવેજો જમા કરવા માટે કાર્યાલયમાં આવવાની છૂટ આપવામાં આવી છે. જેથી અરજદારોને સરળતા રહેશે. પાસપોર્ટ કેન્દ્રમાં હાજર થતા સમયે જરૂરી તમામ ઓરિજિનલ દસ્તાવેજો સાથે લાવવા જરૂરીઅરજદારો પોતાની અરજીની સ્થિતિ અંગે ટેલિફોન નંબર 079-26300603 પર સંપર્ક કરી શકે છે. સાથે જ, rpo.ahmedabad@mea.gov.in પર ઈમેલ દ્વારા તથા X પર @rpoahmedabad હેન્ડલ મારફતે પણ માહિતી મેળવી શકાય છે. કાર્યાલય દ્વારા અરજદારોને સલાહ આપવામાં આવી છે કે, પાસપોર્ટ કેન્દ્રમાં હાજર થતા સમયે જરૂરી તમામ ઓરિજિનલ દસ્તાવેજો સાથે લાવવા જરૂરી છે.
ફાયર NOCના મામલે રાયપુર ખાતે આવેલી વિવેકાનંદ કોલેજને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવતાં સમગ્ર મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં હાઇકોર્ટે કહ્યું છે કે આ શૈક્ષણિક સંસ્થાને ડી-સીલ કરતા પહેલા ફાયર સેફ્ટીની ચકાસણી કરવામાં આવે. હાઇકોર્ટે 6 જાન્યુઆરીના રોજ આ અંગેનો રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ કોર્પોરેશનને આપ્યો છે. કોલેજ પાસે બિલ્ડિંગ યુઝ પરમીશન નથીઆ સમગ્ર મામલે વિવેકાનંદ એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા હાઇકોર્ટ સમક્ષ અરજી કરવામાં આવી હતી. 12મી ડિસેમ્બરના રોજ અમદાવાદમાં અરજદાર કોલેજના સંકુલને સીલ કરવાના આદેશ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યો હતો. જેને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. કોર્પોરેશને આ કાર્યવાહી એ કારણોસર કરી હતી કે, કોલેજ પાસે બિલ્ડિંગ યુઝ પરમીશન નથી અને ફાયર સેફ્ટીનો 'નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ'(NOC) નહોતુ. સેફ્ટીની આવશ્યકતાઓનું નિરીક્ષણ કરવા માટે નવી અરજી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યોહાઇકોર્ટે નોંધ્યું હતું કે, ભારે ભીડભાડવાળા વિસ્તારમાં કોઈપણ ઇમારતને કોઈપણ અગ્નિ સલામતી ઉપકરણો વિના વાપરવાની મંજૂરી નથી. તેને ધ્યાનમાં લેતાં આદેશ કરવામાં આવ્યો હતો કે 27 મે, 2024ના રોજ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ રિન્યુઅલને ધ્યાનમાં લેતા અરજદારને 22મી ડિસેમ્બરના રોજ અથવા તે પહેલાં ગ્રાઉન્ડ, પહેલા અને બીજા માળ માટે વિવાદીત ઇમારતમાં ફાયર સેફ્ટીની આવશ્યકતાઓનું નિરીક્ષણ કરવા માટે નવી અરજી કરવાનો નિર્દેશ આપવામાં આવે છે. ઓથોરિટીએ અહેવાલ 6 જાન્યુઆરીના રોજ આ કોર્ટ સમક્ષ રજૂ કરવાનો રહેશેએકવાર આવી અરજી કરવામાં આવે ત્યારે તેને અને વિદ્યાર્થીઓની આગામી પરીક્ષાને ધ્યાનમાં લેતાં ચીફ ફાયર ઓફિસર અમદાવાદે અરજી મળ્યાની તારીખથી એક અઠવાડિયાના સમયગાળામાં ઇમારતનું નિરીક્ષણ કરવાનું રહેશે. એકવાર નિરીક્ષણ થઈ જાય પછી ઓથોરિટીએ તેનો અહેવાલ 6 જાન્યુઆરીના રોજ આ કોર્ટ સમક્ષ રજૂ કરવાનો રહેશે.
સુરત શહેરમાં મોર્નિંગ વોક માટે નીકળતી મહિલાઓની છેડતી કરી બાઈક પર ફરાર થઈ જતા 'સાઈકો'ની ધરપકડ કરી લેવામાં આવી છે. રિકન્સ્ટ્રકશન દરમિયાન મહિલા પોલીસ કર્મચારીઓએ આરોપીની સાન ઠેકાણે લાવી દીધી હતી. ઉધના વિસ્તારમાં મોર્નિંગ વોક માટે નીકળતી મહિલાઓની છેડતી કરતોસુરતના ઉધના વિસ્તારમાં ખાસ કરીને ઝાંસી કી રાની ગાર્ડન તરફ જતા માર્ગ પર મોર્નિંગ વોક માટે નીકળતી મહિલાઓની છેડતીના બનાવ વધ્યા હતા. એક અજાણ્યો બાઈકસવાર પૂરઝડપે આવી મહિલાઓની છેડતી કરી ફરાર થઈ જતો હતો. જેથી પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી. આરોપી પહેલા રસ્તા પર એક-બે રાઉન્ડ મારીને રેકી કરતો અને જેવી કોઈ એકલી મહિલા કે યુવતી દેખાય, તેની પાછળ બાઈક ધીમી પાડી મહિલાના કમરના નીચેના ભાગે અડપલાં કરી પૂરપાટ ઝડપે નાસી છૂટતો હતો. આ સાયકિક વિકૃતિને કારણે વિસ્તારની મહિલાઓમાં એટલો ફફડાટ વ્યાપી ગયો હતો કે ઘણી બહેનોએ સવારે ફરવા જવાનું જ બંધ કરી દીધું હતું. આરોપી પોતાની ઓળખ ન થાય તે માટે બાઈકની નંબર પ્લેટ પર કાળો કલર માર્યો હતોઆરોપી એટલો સાતીર હતો કે તેને પકડાઈ જવાનો ડર હતો. છેડતી સમયે જે બાઈક પર સવાર થઈને નીકળતો તે બાઈકની નંબર પ્લેટ પર કાળો કલર મારી દીધો હતો. જેથી પોલીસ સીસીટીીવ તપાસે તો તેમાં નંબર વાંચી ન શકાય. પોલીસે વોચમાં ગોઠવાઈને આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યોનંબર પ્લેટ વગરના બાઈકને પકડવું મુશ્કેલ હતું, તેથી પીઆઈ એસ.એન. દેસાઈએ એક સ્પેશિયલ ટીમ બનાવી. આ ટીમના જવાનો સવારે 4 વાગ્યાથી જ સાદા ડ્રેસમાં અલગ-અલગ પોઈન્ટ્સ પર ગોઠવાઈ ગયા. પોલીસ વોચમાં હતી કે ક્યારે પેલો 'કાળી નંબર પ્લેટ' વાળો શિકારી જાળમાં ફસાય.અચાનક, નિર્ધારિત સમયે એ જ બાઈક સવાર દેખાયો. જેવો તેણે ફરી એકવાર મહિલાને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો, કે તરત જ વોચમાં રહેલી પોલીસ ટીમે પોતાની બાઈક તેની પાછળ દોડાવી. સીસીટીવીમાં આ દ્રશ્યો કેદ થયા છે કે કેવી રીતે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને આ સાયકોને રસ્તા વચ્ચે જ દબોચી લીધો. વિકાસ નિશાદ મૂળ યુપીનો રહેવાસીપકડાયેલા આરોપીનું નામ વિકાસકુમાર નિશાદ (20 વર્ષ) છે. તે મૂળ ઉત્તર પ્રદેશના અયોધ્યાનો રહેવાસી છે અને હાલ સુરતમાં મજૂરી કામ કરે છે. તે એક સ્ટુડિયોમાં તૈયાર કપડાંની ગડી કરવાનું કામ કરતો હતો. દિવસભર સીધો-સાદો દેખાતો આ યુવક સવારે પોતાની વિકૃત માનસિકતા સંતોષવા નીકળી પડતો હતો. મહિલા પોલીસકર્મીઓએ રિકન્સ્ટ્રકશન દરમિયાન આરોપીની સાન ઠેકાણે લાવી દીધીઆ કેસનો સૌથી રસપ્રદ અને હિંમતભર્યો વળાંક ત્યારે આવ્યો જ્યારે પોલીસ આરોપીને 'ક્રાઈમ રિકન્સ્ટ્રક્શન' માટે ઘટનાસ્થળે લઈ ગઈ. પોલીસનો હેતુ આરોપીના મનમાં કાયદાનો ડર પેદા કરવાનો અને પીડિત મહિલાઓમાં વિશ્વાસ જગાડવાનો હતો. ત્યાં હાજર એક મહિલા પોલીસકર્મીએ આરોપીનો કોલર પકડીને તેને જાહેરમાં ખખડાવ્યો હતો.આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર સ્થાનિક લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી. આ પ્રકારની કડક ચેતવણી સમાજના એવા રોમિયો અને સાયકો તત્વો માટે એક કડક સંદેશ છે જે સ્ત્રીઓને નબળી સમજે છે. પીઆઈ એસ.એન. દેસાઈએ જણાવ્યું કે, મહિલાઓની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. અમે આવા વિકૃત માનસ ધરાવતા શખ્સો સામે કડકમાં કડક કાર્યવાહી કરીશું જેથી અન્ય કોઈ આવું સાહસ ન કરે.
શહેરના ઘી-કાંટા અને નારોલના મટનગલી રોડ પર સ્ટ્રીટ લાઈટના કરંટની દુર્ઘટનામાં ત્રણ લોકોના મૃત્યુ થયા બાદ મ્યુ. કમિશનર દ્વારા શહેરમાં સ્ટ્રીટ લાઈટની કામગીરીને લઈને તપાસના આદેશ આપ્યા હતા. આ શહેરમાં સ્ટ્રીટ લાઈટ વિભાગમાં પોલમ પોલ ચાલતી હોવાનો તપાસ રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે. અનેક જગ્યાએ સ્ટ્રીટ લાઈટના પોલના વાયરોના બોક્સ ખુલ્લા હોવાનો અને લાઈટો બંધ હોવા અંગેનો રિપોર્ટમાં ખુલાસો થતા ડેપ્યુટી સીટી ઇજનેરથી લઈ ટેકનિકલ સુપરવાઇઝર સહિતના 21 લોકોને શો-કોઝ નોટિસ કમિશનરે ફટકારી છે. હજુ સુધી કોઈ નવી એજન્સીને કાયમી કામ સોંપવામાં આવ્યું નથીશહેરમાં સ્ટ્રીટ લાઈટો અંગેની દિન-પ્રતિદિન ફરિયાદોમાં વધારો થયો છે. સ્ટ્રીટ લાઇટ મેઈન્ટેનન્સ માટે સીટેલૂમનો કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ સ્થિતિ વણસી છેલ્લા બે વર્ષથી સ્ટ્રીટ લાઈટ વિભાગમાં જાણે કોઈનું નિયંત્રણ ન હોય એવી સ્થિતિ સર્જાઈ છે. સીટેલૂમનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ તંત્ર દ્વારા ચાર વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હોવા છતાં હજુ સુધી કોઈ નવી એજન્સીને કાયમી કામ સોંપવામાં આવ્યું નથી. હાલ તમામ ઝોનમાં માત્ર પેટા કોન્ટ્રાક્ટ (SITC) દ્વારા જ ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે, જેના કારણે ફરિયાદોનું પ્રમાણ અનેકગણું વધી ગયું છે. લાઈટના પોલ પરથી ડાયરેક્ટ વીજ ચોરી થતી હોવાનું તપાસમાં ખુલ્યુંસ્ટ્રીટ લાઈટમાં ગંભીર બેદરકારીના કારણે નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોંપેલી વિજિલન્સ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. શહેરના અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટના બોક્સ ખુલ્લા છે અને વાયરો કપાયેલી હાલતમાં છે. ફક્ત એટલું જ નહીં, સ્ટ્રીટ લાઈટના પોલ પરથી ગેરકાયદે કનેક્શન લેવાયા છે, મંજૂરી વગર હેલોઝન અને ફ્લડ લાઈટો ઠોકી બેસાડવામાં આવી છે. અનેક ધાર્મિક સ્થળોએ પણ લાઈટના પોલ પરથી ડાયરેક્ટ વીજ ચોરી થતી હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ તમામ ક્ષતિઓને કારણે જ નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવવો પડ્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. નવા એન્જિનિયરની નિમણૂક બાદ પણ કામગીરીમાં કોઈ સુધારો જોવા મળ્યો નથીનારોલ વિસ્તારમાં મટન ગલી રોડ પર બનેલી ઘટના બાદ કમિશનરે તત્કાલીન એડિશનલ એન્જિનિયરની બદલી કરી હતી અને ઝોનના અધિકારીઓ સામે કાર્યવાહીના આદેશ આપ્યા હતા પરંતુ, નવા એન્જિનિયરની નિમણૂક બાદ પણ કામગીરીમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. પેટા કોન્ટ્રાક્ટરોની મનમાની અને અધિકારીઓની નિષ્ક્રિયતાને કારણે શહેરની જનતા પર સ્ટ્રીટ લાઇટ પોલના કરંટનું જોખમ હજુ પણ તોળાઈ રહ્યુ છે. જોકે, કમિશનરે હવે આ બાબતે કડક કાર્યવાહી કરી છે અને પેટા કોન્ટ્રાક્ટર તરીકે પણ કામ કરતી એજન્સી દ્વારા જો યોગ્ય કામગીરી ન થાય તો તેની સામે પગલાં ભરવા પણ જણાવ્યું છે.
તા. 1-1-2026ની લાયકાત તારીખને આધાર બનાવી ગુજરાતમાં હાથ ધરાયેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) ઝુંબેશ દરમિયાન મતદાર યાદીમાં મોટા ફેરફારો સામે આવ્યા છે. ‘પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય અને અપાત્ર મતદાર સામેલ ન થાય’ના સૂત્ર સાથે ચાલતી આ પ્રક્રિયામાં અત્યાર સુધી 73.73 લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી ડિલીટ કરવામાં આવ્યા છે, જ્યારે નવા નામ ઉમેરવા માટે મોટી સંખ્યામાં અરજીઓ મળી છે. ભારતનું ચૂંટણી પંચની સૂચના અનુસાર રાજ્યભરમાં તા. 27 ઓક્ટોબર 2025થી શરૂ કરાયેલી SIR ઝુંબેશ અંતર્ગત ગણતરી તબક્કાની કામગીરી પૂર્ણ થયા બાદ તા. 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી. ફોર્મ-6 દ્વારા કુલ 66,232 અરજીઓ પ્રાપ્ત થઈમુસદ્દા યાદી પ્રસિદ્ધ થયા બાદ હવે મતદારોને તા. 18 જાન્યુઆરી 2026 સુધી દાવા અને વાંધાઓ રજૂ કરવાની તક આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે ફોર્મ-6 દ્વારા કુલ 66,232 અરજીઓ પ્રાપ્ત થઈ છે, જ્યારે નામ કાઢી નાખવા માટે 9,966 નાગરિકોએ ફોર્મ-7 રજૂ કર્યા છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા મળેલા તમામ દાવા-વાંધાઓની સત્યતા ચકાસી ઝડપી નિકાલની કાર્યવાહી પણ સાથે સાથે હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યભરમાં ચાલી રહેલી આ ઝુંબેશથી મતદાર યાદી વધુ શુદ્ધ, પારદર્શક અને વિશ્વસનીય બને તે દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું હોવાનું ચૂંટણી તંત્રનું માનવું છે. મતદારો માટે અપીલજો કોઈ પાત્ર નાગરિકનું નામ છૂટ્યું હોય અથવા ખોટી એન્ટ્રી જણાય, તો તા. 18 જાન્યુઆરી 2026 પહેલાં જરૂરી દાવા-વાંધા નોંધાવા ચૂંટણી વિભાગે અપીલ કરી છે.
જૂનાગઢ જિલ્લાના વંથલી પંથકમાં છેલ્લા ઘણા સમયથી હિંસક વન્યજીવોના આંટાફેરામાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને વંથલીના સાંતલપુર ગામના નદીકાંઠે આવેલા નયડ વિસ્તારમાં ધોળા દિવસે એક સિંહ અને બે દીપડા મુક્તપણે લટાર મારતા જોવા મળતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સામાન્ય રીતે રાત્રિના સમયે દેખાતા આ હિંસક પ્રાણીઓ હવે દિવસના સમયે પણ રહેણાંક અને ખેતીવાડી વિસ્તારોની નજીક જોવા મળતા વન વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. દીપડાની નજીકથી બાઈક નીકળ્યું, માત્ર 4 સેકન્ડે યુવકોનો જીવ બચાવ્યોસાંતલપુર વિસ્તારમાં બનેલી એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં રસ્તાના કાંઠે દીપડો બેઠો હોવાનું સ્પષ્ટ દેખાય છે. જે સમયે એક રાહદારી આ દ્રશ્યો મોબાઈલમાં કેદ કરી રહ્યો હતો, તે જ સમયે ત્યાંથી કેટલાક બાઈક સવારો પસાર થયા હતા. વીડિયો ઉતારનાર યુવકે બાઈક સવારોને દીપડો હોવા અંગે સાવચેત કર્યા હોવા છતાં, બાઈક સવારોએ જાણે અવાજ ન સાંભળ્યો હોય તેમ દીપડાની એકદમ નજીકથી બાઈક હંકારી મૂક્યું હતું. સદનસીબે કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી, પરંતુ આ દ્રશ્યોએ સ્થાનિકોના જીવ તાળવે ચોંટાડ્યા હતા. સ્થાનિકોમાં દીપડાનો ડર હાલ શિયાળુ પાકની સીઝન ચાલી રહી હોવાથી ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોએ પોતાના પાકને જંગલી ભૂંડ, રોઝ અને હરણ જેવા પ્રાણીઓથી બચાવવા માટે કડકડતી ઠંડીમાં મોડી રાત સુધી વાડીએ રોકાણ કરવું પડે છે. એક તરફ પાક બચાવવાની ચિંતા છે, તો બીજી તરફ સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓનો સતત ડર સતાવી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે હવે ખેતરે જવું પણ જોખમી બની ગયું છે. પાંજરા મુકવા છતાં હિંસક પ્રાણીઓ પાંજરે પુરાતા નથીવન વિભાગ દ્વારા વંથલી પંથકમાં જ્યારે પણ વન્યજીવોના દેખાવાની જાણ થાય છે, ત્યારે પાંજરા ગોઠવીને તેમને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવે છે. જો કે, દિવસો સુધી પાંજરા મુકવા છતાં હિંસક પ્રાણીઓ પાંજરે પુરાતા નથી અને તેમના આંટાફેરા યથાવત રહે છે. હવે જ્યારે વન્યજીવો ધોળા દિવસે રસ્તાઓ પર દેખાવા લાગ્યા છે, ત્યારે વન વિભાગ કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા નક્કર કાર્યવાહી કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
ભાવનગર મહાનગરપાલિકાના ટાઉનપ્લાનિંગ વિભાગ દ્વારા વર્ષ 2025ના જાન્યુઆરી માસથી આજદિન સુધીમાં કુલ 60,760 ચોરસમીટર જગ્યા પરથી દબાણો દૂર કર્યા છે. ટીપી રોડ પર આવતા અને રિઝર્વ પ્લોટમાં આવતા 240થી વધુ દબાણો ઉભા કરાયા હતા. જોકે, હાલની બજાર કિંમત મુજબ 150 કરોડની જગ્યાઓ ખુલ્લી કરવામાં આવી છે. ચિત્રા, ફુલસર, અકવાડા સહિતના વિસ્તારોમાં 240થી વધુ દબાણભાવનગર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા શહેરમાં ટીપી રોડ તથા રિઝર્વ પ્લોટોમાં થયેલા દબાણો દૂર કરવાની કામગીરી વર્ષ દરમિયાન સતત હાથ ધરવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષ 2025 જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન શહેરના ચિત્રા, ફુલસર, અકવાડા, અધેવાડા, તરસમિયા સહિતના વિસ્તારોમાં 240થી વધુ ગેરકાયદેસર દબાણો દૂર કરી 60,760 ચોરસમીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે, જેની હાલ બજાર કિંમત મુજબ 150 કરોડથી વધુની જમીન ખુલ્લી કરાવવામાં આવી છે અને આવનાર નવા વર્ષ 2026માં પણ શહેરના ચિત્રા, ફુલસર સહિતના ટીપી રોડ તથા રિઝર્વ પ્લોટના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ફુલસરમાં 56.35 કરોડની જગ્યા ખુલ્લી કરાઈફુલસર વિસ્તારમાં આવેલ ટીપી સ્કીમ નંબર 2(A) માં 15 મીટર રોડ અને 18 મીટર રોડમાં રિઝર્વ પ્લોટ (27),(32),(12) ખુલ્લો કરવામાં આવ્યો, જેમાં 3 ધાર્મિક દબાણો મળી અંદાજિત 90 જેટલા કાચા-પાક બાંધકામો મળી 22.540 ચોરસમીટર, જેની હાલ બજાર કિંમત મુજબ 56 કરોડ 35 લાખ રૂપિયાની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. ચિત્રા સ્તનામ ચોકથી હરિઓમનગર સુધીની 45 કરોડની જગ્યા ખુલ્લી કરાઈટીપી સ્કીમ નંબર 24 માં, ચિત્રા સ્તનામ ચોકથી હરિઓમ નગર સુધીમાં આવેલ 24 મીટરનો રોડ ખુલ્લો કરવામાં આવ્યો છે, જે 18000 ચોરસમીટરમાં 3 ધાર્મિક દબાણો મળી કુલ 50થી વધુ કાચા પાકા બાંધકામો, જેની હાલ બજાર કિંમત 45 કરોડની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. ચિત્રા મસ્તરામ મંદિરથી ફિલ્ટર ટાંકી વચ્ચે 9.60 કરોડની જગ્યા ખુલ્લી કરાઈટીપી સ્કીમ નંબર 24 ચિત્રા મસ્તરામ મંદિરથી ફિલ્ટર ટાકી વચ્ચે આવેલા 24 મીટર રોડ ખુલ્લો કરવામાં આવેલ છે, જેમાં 4 ધાર્મિક સ્થાનો મળી 25 જેટલા કાચા-પાકા બાંધકામોની 3840 ચોરસમીટર જગ્યા, જેની હાલ બજાર કિંમત મુજબ 9.60 કરોડ ની જગ્યા ખુલી કરવામાં આવી. બાળ અદાલતથી મધુવન સોસાયટી વચ્ચે 6.25 કરોડની જગ્યા ખુલ્લી કરાઈટીપી સ્કીમ નંબર 25 ફુલસર બાળ અદાલતથી મધુવન સોસાયટી વચ્ચે આવતો 24 મીટર નો રોડ ખુલ્લો કરવામાં આવેલ છે, જેમાં 2500 ચોરસમીટર માં 1 ધાર્મિક દબાણ મળી 19 કાચા-પાકા દબાણો, જેની હાલ બજાર કિંમત મુજબ 6.25 કરોડની જગ્યા ખુલ્લી કરવામાં આવી. તરસમિયામાં 10.20 કરોડની જગ્યા ખુલ્લી કરાઈટીપી સ્કીમ નંબર 23 તરસમિયામાં 24 મીટર રોડ પર આવતા દબાણો દૂર કરવામાં આવ્યા છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોરથી 3 માળ હોસ્ટેલ બિલ્ડીંગ, સ્કૂલનો ભાગ ગ્રાઉન્ડ ફ્લોરથી 1 માળ, માર્જીનમાં આવેલ કિચનના બાંધકામો અને કમ્પાઉન્ડ વોલ મળી 4080 ચોરસમીટર જગ્યા, જેની હાલ બજાર કિંમત મુજબ 10.20 કરોડ ની જગ્યા ખુલ્લી કરવામાં આવી. અકવાડામાં 20 કરોડની જગ્યા ખુલ્લી કરાઈટીપી સ્કીમ નંબર 29 અકવાડામાં 30 મીટર નો રોડ ખુલ્લો કરવા માટે દબાણો દૂર કરવામાં આવ્યા છે. જેમાં 1 ધાર્મિક સ્થાન મળી 54 કાચા-પાકા દબાણો, જેની 8000 ચોરસ મીટર જેટલી જગ્યા હાલ બજાર કિંમત મુજબ 20 કરોડની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. ઝાઝરીયા હનુમાન રોડ પાસે 3 મકાનોનું દબાણ દૂર કરાયાટીપી સ્કીમ નંબર 17 અધેવાડાના ફાઇનલ પ્લોટ નંબર 190 માલેશ્રી નદી સામે ઝાઝરીયા હનુમાન રોડ પાસે 3 મકાનોનું દબાણ દૂર કરવામાં આવ્યું, જેમાં મનપાનું પંપિંગ બનવવા માટે 1800 ચોરસમીટર ખુલ્લી કરવામાં આવી છે, જેની હાલ બજાર કિંમત 4.50 કરોડ થાય છે. રોડ-રસ્તા, ડ્રેનેજ તથા પાણીની લાઈનનું આયોજન થશેઆ અંગે મહાનગરપાલિકાના ટાઉનપ્લાનિંગ ઓફિસર અશોક વેગડે જણાવ્યું હતું કે, ટાઉન પ્લાનિંગ વિભાગ તરફથી અકવાડા ટીપી સ્કીમ નંબર 29, તરસમીયા ટીપી સ્કીમ નંબર 23, અધેવાડા ટીપી સ્કીમ નંબર 17, ચિત્રા ટીપી સ્કીમ નંબર 24, ફુલસર ટીપી સ્કીમ નંબર 25 તથા 2(A) ફુલસરની અંદર જે કોર્પોરેશનના ટીપી રસ્તા હોય તે ખુલ્લા કરવાની તેમજ રિઝર્વેશનની અંદર પણ દબાણ થયેલા હોય તો એ દબાણો ખુલ્લા કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી અંદાજે રસ્તા તથા રિઝર્વ પ્લોટ જે ખુલ્લા કરવામાં આવેલ તે અંદાજિત 60,700 ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે, અને તેની બજાર કિંમત અત્યારના બજાર ભાવ મુજબ તેની કુલ કિંમત અંદાજિત 150 કરોડ જેટલી થવા જાય છે. આવતા દિવસોમાં જે શહેરના ચિત્રા ફુલસર વિસ્તારમાં રસ્તા ખુલ્લા કરવાના છે, જેમ રોડનું આયોજન તેમજ ડ્રેનેજ તથા પાણીની લાઈનનું આયોજન થશે, જે રસ્તા ખુલ્લા કરવાની જરૂરિયાત મુજબ ખુલ્લા કરવામાં આવશે.
અમદાવાદમાં દિવસે અને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. તેમાં પણ શહેરના પૂર્વ વિસ્તારમાં અકસ્માતમાં મોતની ઘટના પણ વધી રહી છે. પૂર્વ વિસ્તારમાં બે અકસ્માતમાં બે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તો બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કોર્પોરેશનની ગાડીએ એક્ટિવાને ટક્કર મારી હતીદાણીપીઠ વિસ્તારમાં રહેતા 42 વર્ષીય વિમલ સાધુ 20 ડિસેમ્બરમાં એક્ટિવા લઈને નીકળ્યો હતો. એક્ટિવા લઈને વિમલ મેમ્કો BRTS બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યો હતો. જે દરમિયાન પૂરપાટ ઝડપે આવતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડીએ વિમલની એક્ટિવાને ટક્કર મારી હતી. ગાડીની ટક્કર વાગતા જ વિમલ રોડ પર પટકાયો હતો અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. AMC ગાડી ચાલક સુજનદાસની ધરપકડજ્યાં સારવાર દરમિયાન વિમલનું મોત થતા ઈ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી AMC ગાડી ચાલક સુજનદાસની ધરપકડ કરી હતી. જે બાદ પોલીસે તપાસ કરતા મૃતક વિમલ સામે અગાઉ અનેક ગુના નોંધાયા હોવાનું પણ સામે આવ્યું હતું. નરોડામાં પૂરપાટ ઝડપે આવતી ટ્રકે ત્રણ લોકોને અડફેટે લીધાબીજો અકસ્માત નરોડા વિસ્તારમાં બન્યો હતો. જેમાં પંજાબના લુધિયાણામાં રહેતા રાજેન્દ્રકુમાર આસેરી સંબંઘીનું વાહન લઇને ભદ્રકાળી મંદિરે દર્શન કરવા ગયા હતા. ભદ્રકાળી મંદિરે દર્શન કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા નરોડા વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવતી આઇશર ટ્રકે ટક્કર મારી હતી. આઈસરની જોરદાર ટક્કરના કારણે વાહનમાં સવાર ત્રણ લોકો રોડ પર પટકાયા હતા. જે દરમિયાન રાજેન્દ્રકુમારના પત્ની સોનાલીબેનના માથા પરથી આઇશર ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું. જેથી તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. તો અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટના બનતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. જે બાદ ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોધી ટ્રકચાલક મંજેશકુમારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ગોધરા પાસે ટ્રક પર તાડપત્રી બાંધતા કંડક્ટરનું મોત:હાઈ ટેન્શન લાઈન અડી જતાં વીજ કરંટ લાગ્યો
ગોધરા તાલુકાના પરવડી ગામ નજીક એક ટ્રક કંડક્ટરનું વીજ કરંટ લાગવાથી મૃત્યુ થયું છે. ટ્રક પર તાડપત્રી બાંધતી વખતે ઉપરથી પસાર થતી હાઈ ટેન્શન વીજલાઈનનો સંપર્ક થતાં આ ઘટના બની હતી. મૃતક કંડક્ટરનું નામ ઈસ્માઈલભાઈ યુસુફભાઈ મહીદા હતું, જેઓ મૂળ જૂનાગઢના માંગરોળના રહેવાસી હતા. તેઓ ટ્રક નંબર GJ-31-T-8238 પર કંડક્ટર તરીકે ફરજ બજાવતા હતા. રવિવારે બપોરના સમયે ગોધરાના પરવડી ગામે આવેલી આધ્યશક્તિ આટામેદો કંપની પાસે તેઓ ટ્રક પર તાડપત્રી બાંધી રહ્યા હતા. આ દરમિયાન ટ્રકની ઉપરથી પસાર થતો 3 ફેઝનો જીવંત હાઈ ટેન્શન વાયર અચાનક તેમના સંપર્કમાં આવ્યો હતો. વીજ કરંટ લાગવાને કારણે ઈસ્માઈલભાઈના કપડાંમાં આગ લાગી ગઈ હતી અને ગંભીર રીતે દાઝી જવાને કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટના અંગે ટ્રક ડ્રાઈવર અરજણભાઈ કરમટાએ ગોધરા તાલુકા પોલીસને જાણ કરી હતી. ગોધરા તાલુકા પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા મુજબ અકસ્માતે મોતનો ગુનો નોંધી, મૃતદેહને ગોધરા સિવિલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.
મિલેટની પાણીપુરી, રાગીમાંથી બનાવેલ વિવિધ વાનગીઓ, રાગીનો ઠુમરો વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા ભાવનગરના જવાહર મેદાન ખાતે યોજાયેલા ત્રિ-દિવસીય 'સશક્ત નારી મેળા'નું આજે સમાપન થયું છે, ત્રિ-દિવસીય 'સશક્ત નારી મેળા'માં 100 ક્રાફ્ટ તથા 20 ફૂડ વેચાણ સહિત કુલ 120 જેટલાં સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યાં હતાં, જવાહર મેદાન ખાતે ત્રણ દિવસ દરમ્યાન સ્ટોલમાં ક્રાફ્ટ ચીજ વસ્તુઓ જેવી કે હેન્ડીક્રાફટ, જવેલરી, હર્બલ પ્રોડક્ટ, વુડન ટોઈઝ, ડેર્રી પ્રોડક્ટ, આયુર્વેદિક પ્રોડક્ટ, દુધની પ્રોડક્ટ, હેલ્ધી ફૂડ મિલેટ, ખાખરા પાપડ અથાણા, મસાલા ઉપરાંત જિલ્લાની મહિલા ઉદ્યોગ સાહસિકો દ્વારા તૈયાર કરાયેલા વિવિધ સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા સામગ્રી અને અન્ય ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ કરાયું હતુ. ક્રાફ્ટ સ્ટોલમાં રૂ.13,49,537 અને ફૂડ સ્ટોલમાં રૂ.4,00,670 સહિત કુલ રૂ.17,50,207 લાખની આવક નોંધાઇ હતી. જેમાં 21,378 લોકોએ મેળાની મુલાકાત લઈને સરકારની વિવિધ યોજનાઓની માહિતી પણ મેળવી હતી, મેળામાં મિલેટની પાણીપુરી, રાગીમાંથી બનાવેલ વિવિધ વાનગીઓ, રાગીનો ઠુમરો વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતા, મેળા દરમિયાન કૃષિ વિભાગના તત્વમ સ્ટોલે વિવિધ વસ્તુઓનું વેચાણ કરીને રૂ.89,000 હજારની રકમની કમાણી પણ કરી હતી. ક્રાફટ સ્ટોલમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના-48, કૃષિ વિભાગના-13, મહિલા આર્થિક વિકાસ નિગમના -7, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર-9, મહિલા આર્થિક વિકાસ નિગમ-7, ભાવનગર મહાનગર પાલિકા- 15, કો-ઓપરેટીવ -3 અને વન વિભાગમાંથી 1 સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયા તેમજ કેન્દ્રિય રાજયમંત્રી નિમુબેન બાંભણીયા, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરુએ ફુડ અને ક્રાફટ સ્ટોલની મુલાકાત લઈને 'લોકલ ફોર વોકલ' અને 'આત્મનિર્ભર ભારત' અંતર્ગત સ્વદેશી વસ્તુઓનું વેચાણ કરવા બદલ બહેનોને શુભેચ્છા પાઠવી હતી, ભાવનગર ખાતે યોજાયેલો 'સશક્ત નારી મેળો' અનેક મહિલાઓ માટે આત્મનિર્ભર બનવાની સાથે યાદગાર પણ બન્યો હતો.

24 C