અમદાવાદમાં સાયબર ઠગોએ વૃદ્ધને 6 દિવસ સુધી 'ડિજિટલ અરેસ્ટ' કરીને ₹1.43 કરોડની છેતરપિંડીનો પ્રયાસ કર્યો હતો, જેને સાયબર ક્રાઈમ બ્રાન્ચે સમયસર નિષ્ફળ બનાવી વૃદ્ધને બચાવી લીધા હતા. મ્યુચ્યુઅલ ફંડ મેનેજરને વૃદ્ધે ₹92 લાખનું ફંડ તોડાવી વિદેશમાં અભ્યાસ કરતા દીકરાને મોકલવાનું કહ્યું હતું, જેથી તેમને શંકા જતાં સાયબર ક્રાઈમને જાણ કરી હતી. ઠગોએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નકલી અધિકારી તરીકે વોટ્સએપ વીડિયો કોલ કરીને વૃદ્ધને ડરાવી ₹50 લાખની FD પણ તોડાવી હતી, પરંતુ પોલીસની સમજાવટ બાદ વૃદ્ધને છેતરપિંડીમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. વૃદ્ધને 10 કલાક સુધીની સમજાવટ બાદ બચાવાયાતાજેતરમાં જ એક વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા જેઓને સાયબર ક્રાઇમની ટીમે સમય સૂચકતાને લઈ બચાવી લીધા હતા ત્યારે શહેરમાં વધુ એક વૃદ્ધને ડિજિટલ એરેસ્ટના નામે રૂ. 1.43 કરોડ પડાવવાના પ્રયાસને સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. મ્યુચ્યુઅલ ફંડના મેનેજરને વૃદ્ધ દ્વારા રૂપિયા 92 લાખનું ફંડ તોડાવી અને વિદેશમાં અભ્યાસ કરતા દીકરાને મોકલવા માટે કહ્યું હતું જેથી તેઓને શંકા ગઈ હતી અને આ બાબતે સાયબર ક્રાઈમને જાણ કરતા વૃદ્ધ અને સમજાવવામાં આવ્યા હતા. વૃદ્ધને 10 કલાક સુધીની સમજાવટ બાદ આખરે ડિજિટલ એરેસ્ટ જેવા છેતરપિંડીના ગુનામાંથી બચાવી લેવાયા હતા. વિદેશમાં દીકરાને પૈસા મોકલવા છે કહી ફંડ તોડાવતા મેનેજરને શંકા ગઈસાયબર ક્રાઈમ બ્રાન્ચ એસીપી હાર્દિક માકડીયાએ જણાવ્યું હતું કે, મ્યુચ્યુઅલ ફંડ મેનેજર તરીકે કામ કરનારા પંકજભાઈ દોશીએ તાજેતરમાં જ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ડિજિટલ એરેસ્ટના નામે છેતરપિંડી કરનારા વૃદ્ધાને બચાવવામાં આવ્યા હોવાનો વીડિયો જોયો તો જેને જોઈને તેમના ઘાટલોડિયા વિસ્તારમાં રહેનારા ક્લાઈન્ટ દ્વારા રૂપિયા 92 લાખનું મ્યુચ્યુઅલ ફંડ તોડાવી અને વિદેશમાં રહેતા તેમના દીકરાને પહોંચાડવાનું છે એવું કહ્યું હતું જેથી તેઓને શંકા ગઈ હતી અને આ બાબતે સાયબર ક્રાઈમ બ્રાન્ચને જાણ કરી હતી. મ્યુચ્યુઅલ ફંડ એજન્ટે સાયબર ક્રાઈમનો સંપર્ક કરી વૃદ્ધને બચાવ્યાસાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમ આ બાબતે એક્ટિવ થઈ ગઈ હતી અને મ્યુચ્યુઅલ ફંડ એજન્ટ સાથે સંપર્ક કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વૃદ્ધના મોબાઈલ નંબર ના આધારે તેમનું લોકેશન એક્ટિવ કરતાં ખાનગી બેંકમાં હોવાનું જાણવા મળ્યું હતું. જેથી, બેંકમાં સૌપ્રથમ જાણ કરી હતી કે, તેઓ જે પૈસા ઉપાડવા આવ્યા છે તે ઉપાડવા દેવા નહીં અને ત્યારબાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી. તેઓને ડિજિટલ અરેસ્ટ કરાયા હોવાની શંકા હતી, જેથી તેમનો મોબાઈલ ફોન ચેક કરવામાં માંગ્યો હતો પરંતુ, વૃદ્ધ દ્વારા મોબાઈલ આપવામાં આવ્યો નહોતો. ત્યારબાદ ઘરે જઈ આ બાબતે વાત કરવાનું કહેતા તેમને ઘરે લઈ ગયા હતા અને પોતે ડિજિટલ એરેસ્ટ થયા હોવાનું માનતા નહોતા. જે બાદ વિદેશમાં રહેતા તેમના પુત્રને અને તેમના સગા-વ્હાલાને સંપર્ક કરવામાં આવ્યો હતો. 6 દિવસથી વૃદ્ધ ડિજિટલ અરેસ્ટ હતાઆ બાબતે પૂછપરછ કરતા તેમને જાણવા મળ્યું હતું કે, વૃદ્ધને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નકલી અધિકારીનો વોટ્સએપ કોલ આવ્યો હતો. સાયબર ગઠિયાઓએ વૃદ્ધને છેલ્લા છ દિવસથી ‘ડિઝીટલ એરેસ્ટ’ કરી રાખ્યા હતા અને ડરાવવા માટે નકલી દસ્તાવેજો મોકલ્યા હતા. ઠગબાજોએ વૃદ્ધને કહ્યું કે તેમના નાણાં વેરિફિકેશન માટે ટ્રાન્સફર કરવા પડશે, જેના કારણે વૃદ્ધ 92 લાખના મ્યુચ્યુઅલ ફંડ અને 50 લાખની બેંક એફડી (કુલ ₹1.43 કરોડ) તોડાવીને પૈસા ઉપાડવા બેંક પહોંચ્યા હતા. સાયબર ક્રાઈમ બ્રાંચ, અમદાવાદ દ્રારા જાહેર જનતાને અપીલ:- ડિજિટલ એરેસ્ટ થયેલ વ્યક્તિની ઓળખાણ કંઇ રીતે કરશો ડિજિટલ એરેસ્ટ સબંધે બેંકના અધિકારી તથા ફંડ મેનેજરને જરૂરી સૂચના વિક્ટિમને વધુ ડરાવવા માટે નૉન-બેલેબલ જેવા કાનૂની શબ્દોનો ઉપયોગ કરે છેસાયબર ક્રિમીનલ્સ દ્વારા અજમાવવામાં આવતા મુખ્ય હથકંડાઓમાં વોટ્સએપ એપ્લિકેશન દ્વારા વીડિયો કોલ કરીને વિક્ટિમને ડરાવવાનો સમાવેશ થાય છે. આ કોલમાં નકલી ધરપકડ વોરંટ બતાવવામાં આવે છે જેમાં સુપ્રીમ કોર્ટના લોગોનો ઉપયોગ કરવામાં આવે છે, તેમજ પોલીસ યુનિફોર્મમાં વ્યક્તિને બતાવીને વિશ્વાસ મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. વિક્ટિમને વધુ ડરાવવા માટે નૉન-બેલેબલ જેવા કાનૂની શબ્દોનો ઉપયોગ કરીને મની લોન્ડરિંગના આરોપ લગાવવામાં આવે છે અથવા ઇન્ટરનેશનલ પાર્સલમાં ડ્રગ્સ મળી આવ્યા હોવાની વાત કહીને અથવા તેમના SIM કાર્ડનો દુરુપયોગ થયો હોવાનું જણાવીને મોટી રકમની માંગણી કરવામાં આવે છે. આ તમામ હથકંડાઓથી વિક્ટિમને માનસિક દબાણમાં મૂકીને તેમના બેંક ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
વલસાડ જિલ્લામાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા (SIR-2026) પ્રક્રિયા અંતર્ગત મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. ભારતના ચૂંટણીપંચના નિર્દેશો અનુસાર, 1 જાન્યુઆરી, 2026ની લાયકાત તારીખના સંદર્ભમાં આ યાદી તૈયાર કરાઈ છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ભવ્ય વર્માએ 19 ડિસેમ્બરના રોજ પત્રકાર પરિષદ યોજી આ અંગેની વિગતો આપી હતી. કલેક્ટર ભવ્ય વર્માએ જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લામાં પાંચ વિધાનસભા મતવિસ્તાર આવેલા છે: વલસાડ, ધરમપુર (અ.જ.જા.), પારડી, કપરાડા (અ.જ.જા.) અને ઉમરગામ (અ.જ.જા.). 2025ની મતદારયાદી મુજબ જિલ્લામાં કુલ 13,85,507 મતદારો નોંધાયેલા છે. ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબ, એક મતદાન મથક પર 1200થી વધુ મતદારો ન રહે તે હેતુસર મતદાન મથકોનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. આના પરિણામે, જિલ્લામાં અગાઉના 1349 મતદાન મથકો વધીને હવે 1544 મતદાન મથકો રહેશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા SIR-2026 અંતર્ગત Enumeration Form (EF) ના વિતરણ, સંગ્રહ અને ડિજિટાઈઝેશનની કામગીરી 14 ડિસેમ્બરના રોજ પૂર્ણ કરવામાં આવી છે. કુલ 11,59,110 મતદારો (83.66%) દ્વારા ફોર્મ પરત જમા કરાવી 100 ટકા ડિજિટાઈઝેશનની કામગીરી પૂર્ણ કરાઈ છે. આ પ્રક્રિયા દરમિયાન 2,26,937 મતદારો (16.34%) ને 'અનકલેક્ટેબલ' તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે. મુસદ્દા મતદારયાદીમાંથી જે મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે, તેઓ જો પોતાનું નામ પુનઃ નોંધાવવા ઈચ્છતા હોય તો 19 જાન્યુઆરી, 2026 સુધી ફોર્મ-6 ભરીને અરજી કરી શકશે. ફોર્મની સંપૂર્ણ ચકાસણી બાદ આવા મતદારોનો સમાવેશ કરવામાં આવશે. આ યાદી Valsad.nic.in વેબસાઇટ પર ઉપલબ્ધ છે. આ ઉપરાંત, 1,65,451 મતદારો (11.94%) 'નો મેપિંગ' શ્રેણીમાં આવે છે, જેમના નામ ડ્રાફ્ટ મતદારયાદીમાં સમાવેશ કરવામાં આવ્યા છે. જોકે, તેમને સંબંધિત મતદાર નોંધણી અધિકારી દ્વારા નોટિસ ઇસ્યુ કરીને યોગ્ય સુનાવણી રાખવામાં આવશે અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જ 17 ફેબ્રુઆરી, 2026ના રોજ આખરી મતદારયાદીમાં સમાવેશ કરવો કે કેમ તે અંગેનો નિર્ણય લેવામાં આવશે. અરજીઓની ચકાસણી અને નિકાલ 10 ફેબ્રુઆરી, 2026 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે, અને આખરી મતદારયાદી 17 ફેબ્રુઆરી, 2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. આપનું નામ મુસદ્દા મતદાર યાદીમાં નીચે દર્શાવેલ માધ્યમ વડે ચકાસી શકો છો. • વેબસાઇટ http://ceo.gujarat.gov.in• વોટર પોર્ટલ : voters.eci.gov.in• ECINET App• BLO પાસેથી• જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી/ERO/AERO કચેરી ખાતેથીજો આપનું નામ મુસદ્દા મતદાર યાદીમાં ન હોય તો મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા માટે ફોર્મ નં.6 ભરીને તેની સાથે ડેક્લેરેશન રજૂ કરીને તથા જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકો છો. જો મુસદ્દા મતદાર યાદીમાં દર્શાવેલ વિગતોમાં કોઇ ભૂલ હોય તો ડેક્લેરેશન સાથે ફોર્મ નં.8 ભરીને જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકાય છે.મુસદ્દા મતદાર યાદીમાં કોઇ પણ પ્રકારનો વાંધો રજૂ કરવા માટે ફોર્મ નં.7 ભરીને અરજી કરી શકાશે.
ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ કુલ 9 વિધાનસભા વિસ્તારોની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ મતદાર યાદીની 100 ટકા ડિજિટાઇઝેશન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. કલેક્ટર મિહિર પટેલે ડ્રાફ્ટ મતદાર યાદીની વિગતો આપતા જણાવ્યું કે, બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના કુલ મતદારોની સંખ્યા 26,24,952 હતી. તેમાંથી 24,05,325 ગણતરી ફોર્મ EF પરત મળ્યા છે. ASD (Absent, Shifted, Dead) ના કારણે 2,19,627 મતદારો કમી થયા છે. આથી, ફાઇનલ ડ્રાફ્ટ રોલમાં 24,05,325 મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રસિદ્ધ થયેલી આ ડ્રાફ્ટ યાદીની સોફ્ટ અને હાર્ડ કોપી માન્ય રાજકીય પક્ષોને સુપ્રત કરવામાં આવી છે. ઉપરાંત, દરેક બૂથના BLO (બૂથ લેવલ ઓફિસર) ને પણ ફોટોવાળી મતદાર યાદી પૂરી પાડવામાં આવી છે. પ્રસિદ્ધ થયેલ ડ્રાફ્ટ યાદી અંગે હક્ક દાવા અને વાંધા અરજીઓ 19 ડિસેમ્બર, 2025 થી 18 જાન્યુઆરી, 2026 સુધી સંબંધિત ERO (મતદાર નોંધણી અધિકારી) ને રજૂ કરી શકાશે. આ સમયગાળા બાદ નોટિસ અને સુનાવણી હાથ ધરવામાં આવશે. જે મતદારોએ હક્ક દાવા અને વાંધા અરજીઓ કરી છે, તેમજ 'નો મેપિંગ' (2002ની યાદી મુજબ મેપિંગ ન થયેલા) શ્રેણીના કુલ 64,336 મતદારોને 19 ડિસેમ્બર, 2025 થી 10 ફેબ્રુઆરી, 2026 સુધી સંબંધિત વિધાનસભાના મતદાર નોંધણી અધિકારી અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારી સમક્ષ રૂબરૂ સાંભળવામાં આવશે. તેમના દ્વારા રજૂ કરાયેલા આધાર પુરાવા મુજબ આગળનો નિર્ણય લેવામાં આવશે. બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં મતદાર નોંધણી અધિકારી અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરીઓ ખાતે કુલ 27 હેલ્પ ડેસ્ક કમ ડોક્યુમેન્ટ કલેક્શન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. 'નો મેપિંગ' શ્રેણીના મતદારો આ સેન્ટર પર પોતાના આધાર પુરાવા રજૂ કરી શકશે. આપનું નામ મુસદ્દા મતદાર યાદીમાં નીચે દર્શાવેલ માધ્યમ વડે ચકાસી શકો છો. • વેબસાઇટ http://ceo.gujarat.gov.in• વોટર પોર્ટલ : voters.eci.gov.in• ECINET App• BLO પાસેથી• જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી/ERO/AERO કચેરી ખાતેથીજો આપનું નામ મુસદ્દા મતદાર યાદીમાં ન હોય તો મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા માટે ફોર્મ નં.6 ભરીને તેની સાથે ડેક્લેરેશન રજૂ કરીને તથા જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકો છો. જો મુસદ્દા મતદાર યાદીમાં દર્શાવેલ વિગતોમાં કોઇ ભૂલ હોય તો ડેક્લેરેશન સાથે ફોર્મ નં.8 ભરીને જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકાય છે.મુસદ્દા મતદાર યાદીમાં કોઇ પણ પ્રકારનો વાંધો રજૂ કરવા માટે ફોર્મ નં.7 ભરીને અરજી કરી શકાશે.
ભાવનગર પશ્ચિમ મતવિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના પિતાની અગિયારમી પુણ્યતિથિ અન્વયે આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન ફુલસર ખાતે કરવામાં આવ્યું હતું. 11મી પુણ્યતિથિ અન્વયે આરોગ્ય નિદાન કેમ્પનું આયોજનરાજ્યના કૃષિમંત્રી અને ભાવનગર પશ્ચિમ મત વિસ્તારના ધારાસભ્ય જીતુ વાઘાણીના પિતાજી સવજીભાઈ કરશનભાઈ વાઘાણીની 11મી પુણ્યતિથિ અન્વયે શહેરના ફુલસર વિસ્તારમાં આવેલ રામદેવપીરના મંદિરે સર્ટી હોસ્પિટલ તથા સ્વામી વિવેકાનંદ હોમિયોપેથી કોલેજના સંયુક્ત ઉપક્રમે આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઊમટી પડ્યા હતા અને આરોગ્ય નિદાન કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પમાં ઉપસ્થિત ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને ભાવનગર કૌશિક વેકરિયાનું સ્થાનિકો દ્વારા વાજતે ગાજતે સ્વાગત કર્યું હતું. ઉપરાંત આ વિસ્તારના વોર્ડ મંત્રી તેમજ કોર્પોરેટરો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્ય દવાઓ તથા ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ મેડિકલ કેમ્પમાં ભાવનગરના પ્રભારી કૌશિક વેકરિયા,પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણ,રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી, મેયર ભરત બારડ , પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી, શહેર જિલ્લા ભાજપ પ્રમુખ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્દીને મોટી બીમારી હોય તો ઓપરેશન સુધીની સુવિધાઓઆ અંગે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મારા સ્વર્ગસ્થ પિતા સવજીભાઈ વાઘાણીની પુણ્યતિથિ નિમિત્તે 12મો મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મારા મત વિસ્તારમાં લોકોએ ધારાસભ્ય બનાવ્યા પછી, જ્યારે મારો જન્મદિવસ હોય, મારા પિતાની પુણ્યતિથિ હોય, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ હોય, દરેક વોર્ડમાં પછાત વર્ગ અને ગરીબ વર્ગના લોકો હાજર રહે છે, એમાં મેડિકલ કેમ કરીને સંપૂર્ણ સુવિધા, જ્યારે કોઈ દર્દીને મોટી બીમારી હોય તો ઓપરેશન સુધીની સુવિધાઓ, દવાઓની સુવિધાની વ્યવસ્થાઓ, એ અમારા પરિવાર દ્વારા અને ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ દ્વારા આ વ્યવસ્થાઓ થઈ રહી છે. 'મારા પિતાની આ પુણ્યતિથિ લોકોના સેવામાં ઉપયોગી થઈ શકે'તેને વધુમાં કહ્યું કે, મારા પિતાની આ પુણ્યતિથિ લોકોના સેવામાં ઉપયોગી થઈ શકે, નરેન્દ્ર મોદીના જન્મદિવસ લોકસેવામાં ઉપયોગી થઈ શકે. દરેક વોર્ડમાં સરકારી સ્કૂલના જે દીકરા છે, એમના વાલી છે, તેમના માટેનું મેડિકલ કેમ્પનું આયોજન કરતા હોઈએ છીએ. અને આજે ફુલસર રામાપીર મંદિર ખાતે મેડિકલ કેમ્પનો કાર્યક્રમ રાખ્યો છે. લગભગ 1000થી 1500 લોકો આ કેમ્પમાં સમગ્ર કેમ્પ પૂરો થાય ત્યાં સુધી લાભ લેતા હોય છે અને મને આનંદ છે કે એમના જીવનમાં તંદુરસ્તી આપે, ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ફરીવાર એને ન આવવું પડે એવી તંદુરસ્તી આપે. આજે રોગ નિદાન કરીને દવાઓ લઈને જાય અને રામાપીર ને અને ભગવાનની કૃપા વરસે.
ભાવનગરમાં ઇસ્કોન ક્લબ ખાતે ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી તથા કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાના રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) યોજાઈ હતી. રાજ્ય સરકાર દ્વારા 'વિકસિત ભારત 2047'ના વિઝનને સાકાર કરવા આયોજિત આ કોન્ફરન્સમાં વિવિધ ઔદ્યોગિક એકમો સાથે કુલ રૂ.1700 કરોડથી વધુના MOU કરવામાં આવ્યા હતા. આ કોન્ફરન્સ દરમિયાન થયેલાં MOU માં કોમર્શિયલ એન્ડ રેસિડેન્સીયલ દ્વારા રૂ.460.57 કરોડ, એગ્રો એન્ડ ફુડ પ્રોસેસિંગ દ્વારા રૂ.120.82 કરોડ, કેમિકલ દ્વારા રૂ.40.84 કરોડ, એન્જિનિયરિંગ એન્ડ ઓટો સેક્ટર દ્વારા રૂ.102.59 કરોડ, પ્લાસ્ટિક દ્વારા રૂ.40.49 કરોડ, MSME દ્વારા રૂ.122.11 કરોડ તેમજ માઈનીંગ દ્વારા રૂ.844 કરોડના કરારોનો સમાવેશ થાય છે. આમ, ભાવનગરની VGRCમાં ડિસ્ટ્રિક્ટ ઈન્ડસ્ટ્રી સેન્ટર, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને જીઓલોજી એન્ડ માઈનીંગ ક્ષેત્રમાં રૂ.1731.41 કરોડનાં પ્રસ્તાવિત રોકાણ સાથે 248 MOU પર હસ્તાક્ષર થયાં હતાં. જેનાથી 21,276 જેટલી રોજગારીનું નિર્માણ થશે. આ પ્રસંગે પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં 1700 કરોડથી વધુના એમ.ઓ.યુ. આજે થયા એ ગૌરવની વાત છે. વર્ષ 2003 માં શરૂ કરવામાં આવેલ વાઇબ્રન્ટ સમિટ આજે વટવૃક્ષ બન્યું છે. આવનાર સમયમાં ધોલેરાના વિકાસથી ભાવનગરના વિકાસના નવા દ્વાર ખુલશે, કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે આશરે રૂ.10,000 કરોડથી વધુની રાજ્ય સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવી છે તેમજ ગણતરીના દિવસોમાં આશરે 6,900 કરોડની સહાયની ચૂકવણી પણ કરી દેવામાં આવી જે ખૂબ જ પ્રશંશનીય છે. આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ વર્ષ 2003માં વાઈબ્રન્ટ સમિટ શરૂ થઈ છે. જેના પરિણામરૂપે આજે ગુજરાતે વિકાસક્ષેત્રે નવી ઉંચાઈઓ હાંસલ કરી છે, પહેલાં ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ સમિટ યોજાતી હતી, હવે જિલ્લાકક્ષાએ સમિટ યોજાવાથી ઉદ્યોગકારોને ઘર આંગણે જ યોગ્ય પ્લેટફોર્મ મળી રહ્યું છે. ભાવનગર જિલ્લાના ઉદ્યોગો અંગે તેમણે કહ્યું કે, ભાવનગર જિલ્લામાં એવાં પણ ઉદ્યોગો છે, જેનું ઉત્પાદન માત્ર ભાવનગર જિલ્લામાં જ થઈ રહ્યું છે એ બદલ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. તેમણે સેમિકન્ડક્ટર, ધોલેરા સર, IT પાર્ક, જામનગર થી ભાવનગરને જોડતાં નવા એક્સપ્રેસથી ભાવનગર જિલ્લાને આગામી સમયમાં ખૂબ જ મોટો ફાયદો થશે, તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં જરૂરીયાત મુજબ નવી નીતિઓ પણ બની રહી છે જેનો સીધો ફાયદો ઉદ્યોગકારોને થઈ છે, જ્યાં પણ જરૂર પડે ત્યાં સરકાર આપની સાથે હોવાની પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી. જીઓલોજી એન્ડ માઇનીગ વિભાગના કમિશનર ડો.ધવલ પટેલે કહ્યું કે,2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો જે રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે, તેવી જ રીતે ગુજરાતે પણ ગુજરાત 2047 વિઝન સાથેનો રોડ મેપ તૈયાર કર્યો છે. તેમણે કહ્યું કે, ભાવનગરમાં પ્લાસ્ટિક ઉદ્યોગ, શિપબ્રેકિંગ અને શિપ રિસાયક્લિંગ સહિત અન્ય ઉદ્યોગો માટે પણ ઓપોર્ચ્યુનિટીની વિપુલ તકો રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે આગામી સમયમાં રાજકોટ ખાતે યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. આ કોન્ફરન્સમાં ઉદ્યોગકારો અને સ્ટાર્ટઅપ્સ માટે ધોલેરા SIR માં ભવિષ્યની ઓપર્ચ્યુનિટીઝ વિશે, પોર્ટના વિકાસ અને શિપ બ્રેકિંગ અને શિપ બિલ્ડિંગ બાબતે, ગુજરાત સ્ટેટ બાયો ટેકનોલોજી મિશન તેમજ IT/ઈનોવેશન નીતિઓ જેવા વિષયો પર નિષ્ણાતોએ સેમિનાર યોજ્યાં હતા. VGRC પર ફિલ્મ પ્રસ્તુતિ, પ્રાદેશિક કોન્ફરન્સની પ્રસ્તુતિની સાથે MSMEની સફળતાની ગાથા રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત અગ્રણી ઉદ્યોગપતિઓ અને નિષ્ણાતો દ્વારા ઓપન હાઉસ ડિસ્કશન પણ રાખવામાં આવી છે, જેમાં બેસ્ટ પ્રેક્ટીસ, માળખાગત સુવિધાઓ અને તકો, કુશળતા અને નીતિગત હસ્તક્ષેપો અંગે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે જિલ્લા કલેકટર ડો.મનીષ કુમાર બંસલે સ્વાગત પ્રવચન કર્યું હતું. મંત્રીઓના હસ્તે વાજપાઈ બેંકેબલ યોજનાના લાભાર્થીઓને રૂ.178.05 ની સહાયના ચેક તેમજ 9.3 કરોડની લોનના ચેક એનાયત કરાયા હતા. આ કાર્યક્રમ બાદ મહાનુભાવોએ વિવિધ વિભાગોના સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ, જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મીયાણી, ધારાસભ્ય સેજલબેન પંડયા, ગૌતમભાઈ ચૌહાણ અને હિરાભાઈ સોલંકી, જિલ્લાના અગ્રણી દિગ્વિજયસિંહ ગોહિલ, કુમારભાઈ શાહ, દિવ્યેશભાઈ સોલંકી સહિત પદાધિકારીઓ-અધિકારીઓ અને સ્ટાર્ટઅપ સાહસિકો ઉપસ્થિત રહ્યાં હતા.
બોટાદમાં કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામેના મની લોન્ડરિંગ કેસમાં કોર્ટના ચુકાદા બાદ કોંગ્રેસ કાર્યકર્તાઓએ ઉજવણી કરી હતી. જિલ્લા કોંગ્રેસના કાર્યકરોએ 'સત્યની જીત, ઈડી નહીં લોકશાહીની જીત' જેવા નારા લગાવ્યા હતા. તેમણે બેનરો પ્રદર્શિત કરીને બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ભાજપે સત્તાનો દુરુપયોગ કરીને ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) નો રાજકીય ઉપયોગ કર્યો છે. પક્ષે દાવો કર્યો હતો કે નેશનલ હેરાલ્ડ કેસમાં કોર્ટના ચુકાદાથી ભાજપને આંચકો લાગ્યો છે. બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમતભાઈ કટારીયાએ જણાવ્યું હતું કે, 'સત્યનો વિજય થયો છે'.
પાટણ જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા મતદાર યાદી સુધારણાની કામગીરીનો નવીનતમ અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. 19 ડિસેમ્બર, 2025 સુધીના આંકડા મુજબ, જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો પર કુલ 1,07,366 ફોર્મ વિવિધ કારણોસર 'અનકલેક્ટેબલ' (પરત) જાહેર થયા છે. આ આંકડો કુલ મતદારોના 8.81 ટકા જેટલો છે. આ રિપોર્ટમાં રાધનપુર, ચાણસ્મા, પાટણ અને સિદ્ધપુર બેઠકો પર થયેલી કામગીરીની વિગતો રજૂ કરવામાં આવી છે. જિલ્લાના કુલ 1,369 પોલિંગ બૂથ પર 12,19,104 મતદારો નોંધાયેલા છે, જેમાંથી 11,11,738 મતદારોનું ડિજિટાઈઝેશન પૂર્ણ થયું છે. ફોર્મ પરત આવવાના મુખ્ય કારણોમાં 'સ્થળાંતર' સૌથી વધુ છે, જેમાં 57,513 મતદારો કાયમી ધોરણે અન્યત્ર સ્થળાંતર કરી ગયા છે. આ ઉપરાંત, જિલ્લામાં 25,432 મતદારોના અવસાન થયા હોવાનું નોંધાયું છે. જ્યારે 12,965 મતદારો તેમના રહેઠાણના સરનામે મળી આવ્યા નથી .અન્ય કારણોમાં 6,654 કિસ્સામાં મતદારો અગાઉથી જ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે, અને 4,802 ફોર્મ અન્ય પરચુરણ કારણોસર પરત કરવામાં આવ્યા છે. વિધાનસભા બેઠક મુજબ વિશ્લેષણ કરતા, પાટણ વિધાનસભા બેઠક પર સૌથી વધુ 10.99 ટકા એટલે કે 34,884 ફોર્મ પરત આવ્યા છે. સિદ્ધપુરમાં 9.04 ટકા, રાધનપુરમાં 8.55 ટકા અને ચાણસ્મામાં સૌથી ઓછા 6.56 ટકા ફોર્મ પરત થયા છે. હાલમાં, સમગ્ર જિલ્લામાં ડિજિટાઈઝેશનની કામગીરી 91.19 ટકા સુધી પહોંચી છે. હક દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવા માટે 19 જાન્યુઆરી, 2025 સુધીનો સમયગાળો છે. નોટિસ ઇશ્યુ કરાવી સુનાવણી અને ચકાસણીનો સમય 10 ફેબ્રુઆરી, 2025 સુધી રહેશે. આખરી મતદાર યાદી 17 ફેબ્રુઆરી, 2025 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે.
વડોદરા જિલ્લામાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special Intensive Revision - SIR)ના પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થઈ છે. આ ઝુંબેશ હેઠળ તૈયાર કરવામાં આવેલી મુસદ્દા (ડ્રાફ્ટ) મતદારયાદીની પ્રસિદ્ધિ આજે કરવામાં આવી છે. વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ડ્રાફ્ટ મતદારયાદીમાં કુલ ૨૬,૮૯,૧૧૭ મતદારોમાંથી ૨૧,૮૫,૨૦૫ મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદી ઓનલાઈન https://voters.eci.gov.in વેબસાઈટ પર જોઈ શકાય છે. વધુમાં, કુલ ૫,૦૩,૯૧૨ મતદારો ASD (Absent, Shifted, Died) અને ગણતરી ફોર્મ પરત ન કરનારા મતદારોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદી https://ceo.gujarat.gov.in અને https://vadodara.nic.in વેબસાઈટ પર ઓનલાઈન તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી, મતદાર નોંધણી અધિકારીની કચેરી, વડોદરા મહાનગરપાલિકા તથા જિલ્લા પંચાયત કચેરીઓમાં રૂબરૂ જોઈ શકાશે. જે મતદારોનું મેચિંગ/મેપિંગ વર્ષ 2002ની મતદારયાદી સાથે યોગ્ય રીતે થયેલ નથી, તેમને નોટિસ આપી નિયત પુરાવા મેળવવા આગામી તબક્કામાં કાર્યવાહી હાથ ધરાશે. આ ઉપરાંત, જિલ્લામાં અગાઉ ૨,૫૭૬ મતદાન મથકો હતા, જેનું પુનર્ગઠન કરી હવે ૨,૮૧૮ મતદાન મથકો કરવામાં આવ્યા છે. હક્ક, દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો તા. ૧૯ ડિસેમ્બર ૨૦૨૫થી તા. ૧૮ જાન્યુઆરી ૨૦૨૬ (રવિવાર સુધી) રહેશે. નોટિસ તબક્કો (નોટિસ ઇશ્યુ, સુનાવણી તથા ચકાસણી), ગણતરી ફોર્મ પર નિર્ણય તેમજ EROs દ્વારા હક્ક-દાવા અને વાંધા અરજીઓનો નિકાલ તા. ૧૯ ડિસેમ્બર ૨૦૨૫થી ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી કરવામાં આવશે. મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ તા. ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ થશે. મતદારોને સુવિધા માટે જિલ્લાની તમામ વિધાનસભા વિસ્તારોમાં ફોર્મ-૬ (નામ ઉમેરવા), ફોર્મ-૭ (નામ ડિલીટ કરવા) તથા ફોર્મ-૮ (સુધારા માટે) મેળવવા અને જમા કરાવવા કુલ ૪૫ કલેક્શન અને ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર્સ શરૂ કરવામાં આવ્યા છે. આ સેન્ટર્સ પર જાહેર રજા સિવાયના કાર્યદિવસોમાં ઓફિસ સમયે ફોર્મ મેળવી કે જમા કરાવી શકાશે. વધુમાં, ઓનલાઈન https://voters.eci.gov.in પર પણ ફોર્મ ભરી શકાય છે. વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદારોને અપીલ કરી છે કે તેઓ પોતાનું નામ મતદારયાદીમાં છે કે નહીં તે તપાસી લે અને જરૂરી હોય તો સમયમર્યાદામાં અરજી કરે, જેથી લોકશાહીના મહાપર્વમાં તેઓ ભાગ લઈ શકે.
મહાયુતિનું ટેન્શન વધારવા ઠાકરે બંધુ એક થયા, BMCની ચૂંટણી માટે તૈયાર કર્યો સીટ શેયરિંગનો પ્લાન
Brihanmumbai Municipal Corporation Election : મહારાષ્ટ્રના રાજકારણમાં ખૂબ જ મહત્ત્વની ‘બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણી’ લઈને શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ ગઠબંધન કર્યું છે. ઠાકરે બંધુઓએ એક દાયકા જૂના રાજકીય મતભેદો ભૂલી એક થયા છે અને બંને નેતાઓએ ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને હરાવવાનો પ્લાન ઘડી કાઢ્યો છે. રિપોર્ટ મુજબ, બંને નેતાઓએ સીટ શેયરિંગ ફોર્મ્યૂલા લગભગ ફાઈનલ કરી નાખી છે. ચર્ચા મુજબ બંને નેતાઓ એકબીજાના ઉમેદવારોનો પ્રચાર પણ કરશે. ઠાકરે બંધુ ‘MaMu’ ફેક્ટરને ધ્યાને રાખી લડશે ચૂંટણી
ભારે વરસાદ બાદ દુબઈ, અબુ ધાબી જળમગ્ન, એક ભારતીયનું મોત; બુર્જ ખલીફા પર વીજળી પડી, જુઓ દૃશ્યો
Heavy Rain Lashes UAE: ખાડી દેશ UAE ( સંયુક્ત આરબ અમીરાત )માં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રણ ધરાવતા આ દેશમાં શુક્રવારે ઘણા વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસ્યો. જેનાજેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. દુબઈ અને અબુધાબીમાં ઠેર ઠેર પાણી ભરાયા વીજળીના કડાકા ભડાકા સાથે થતાં વરસાદના કારણે લોકોને ઘરોમાં જ રહેવા સલાહ આપવામાં આવી છે.
અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી નવગુજરાત કેમ્પસ સ્થિત પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રી એન. ડી. શાહના માર્ગદર્શન હેઠળ કોલેજના સાંસ્કૃતિક સમિતિ દ્વારા તારીખ 9/12/2025ના રોજ બૅક ટુ સ્કૂલ ડે તથા ગ્રુપ ડેનું આનંદમય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ શાળાજીવનની યાદોને તાજી કરતી વેશભૂષા સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સાથે સાથે ગ્રુપ ડે અંતર્ગત વિવિધ સર્જનાત્મક જૂથોએ પોતાની અનોખી થીમ રજૂ કરી. તેમાં ખાસ કરીને વકીલ અને ડૉક્ટર જેવા વ્યવસાય આધારિત જૂથો વિદ્યાર્થીઓના આકર્ષણનું કેન્દ્ર રહ્યા. તેમના વેશભૂષા, અભિનય અને સંદેશાત્મક રજૂઆતે કાર્યક્રમને જીવંત બનાવ્યો. સમગ્ર કાર્યક્રમમાં આનંદ, સ્મૃતિ અને સહભાગિતાનો સુંદર સંગમ જોવા મળ્યો. સાંસ્કૃતિક સમિતિના સંયોજિત પ્રયાસોથી કાર્યક્રમ સફળ રહ્યો અને વિદ્યાર્થીઓમાં કોલેજ જીવન પ્રત્યે ઉત્સાહ અને એકતા ભાવને વધુ મજબૂત બનાવ્યો. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે રમઝટ ગ્રુપ અને બેક ટુ સ્કુલ ગ્રુપ જેવા ઈનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા
શહેરના દોલતપરા વિસ્તારમાં આવેલી દાસારામ સોસાયટી, મહેશ્વરી અને નૂતનનગરના રહીશોએ આજે મોટી સંખ્યામાં એકઠા થઈ જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. હિન્દુ બહુમતી ધરાવતી આ સોસાયટીઓમાં અન્ય ધર્મના લોકો દ્વારા મકાન ખરીદી અટકાવવા અને વિસ્તારમાં તાત્કાલિક 'અશાંત ધારો' લાગુ કરવાની માંગ સાથે સ્થાનિકોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં રહીશોએ રજૂઆત કરી છે કે આ સોસાયટીઓ શ્રમિક વર્ગની છે અને સંપૂર્ણ હિન્દુ વસ્તી ધરાવે છે. જો અહીં અન્ય ધર્મના લોકો રહેવા આવશે, તો રહેણી-કહેણી અને ધાર્મિક ઉત્સવોની ઉજવણીમાં અવરોધ ઊભો થશે. રહીશોએ ભીતિ વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં ધાર્મિક લાગણી દુભાવાને કારણે અનિચ્છનીય ઘટનાઓ બની શકે છે, જેના કારણે હિન્દુ પરિવારોએ પલાયન થવું પડશે. શ્રમિક લોકો આર્થિક રીતે સક્ષમ ન હોવાથી મોંઘા ભાવે અન્ય જગ્યાએ મકાન લઈ શકે તેમ નથી, જેથી પરિવારની સુરક્ષાનો સવાલ ઊભો થયો છે. બજરંગ દળ અને સ્થાનિકોની ચીમકી આ રજૂઆતમાં જોડાયેલા બજરંગ દળના કાર્યકર્તા વિપુલ આહિરે તંત્ર અને શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી અશાંત ધારા માટે વારંવાર રજૂઆત કરવામાં આવે છે, છતાં તંત્ર અને ભાજપના નેતાઓ કેમ મૌન છે? શ્રમિક લોકો ધંધા-રોજગાર બંધ રાખીને અહીં ન્યાય માંગવા આવ્યા છે. જો વહેલી તકે નિર્ણય નહીં લેવાય તો 2027 માં કયા મોઢે મત માંગવા આવશો ? હવે આગામી સમયમાં જફર મેદાનમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સ્થાનિક રહીશ જશુબેન ડોબરીયાએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં બહેનો-દીકરીઓને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. અન્ય ધર્મના લોકોની રહેણી-કહેણી અલગ હોવાથી સામાજિક તંગદીલી સર્જાય છે. તંત્રએ અમારી લાગણી સમજીને તાત્કાલિક અશાંત ધારો લાગુ કરવો જોઈએ.સ્થાનિકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લામાં આજે મુસદ્દા મતદારયાદી એટલે ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ પ્રસિદ્ધિની સાથે જ જે 11,17,882 મતદારોનું મેપીંગ બાકી છે, તેમને વહીવટી તંત્ર દ્વારા ઔપચારિક નોટીસ પાઠવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ નોટીસ મેળવનાર દરેક મતદારે સુનાવણી દરમિયાન જરૂરી પુરાવા રજૂ કરવાના રહેશે, અન્યથા તેમનો સમાવેશ આખરી યાદીમાં થઈ શકશે નહીં. 11.17 લાખ મતદાર વિગતોનું મેપીંગ બાકીઆ આંકડાકીય વિગતો પર નજર કરીએ તો, મુસદ્દા મતદારયાદીમાં કુલ 36,23,193 મતદારોની નોંધણી કરવામાં આવી છે. જેમાંથી 25,05,311 મતદારોનું સફળતાપૂર્વક મેપીંગ કરવામાં આવ્યું છે, જ્યારે 11,17,882 મતદારો એવા છે જેમના રહેઠાણ કે અન્ય વિગતોનું મેપીંગ બાકી છે. જાતિવાર વિગતોમાં 18,78,949 પુરૂષ મતદારો, 17,44,144 સ્ત્રી મતદારો અને 100 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે. જે મતદારોના 12,50,319 જેટલા EFS ફોર્મ પરત મળ્યા નથી, તેમનો હાલ આ યાદીમાં સમાવેશ કરાયો નથી. પ્રતિદિન 50 લોકોને એક BLO નોટીસ આપશેમેપીંગ ન થયેલા 11,17,882 મતદારો માટે હવે નોટીસનો તબક્કો 19 ડિસેમ્બર 2025થી 10 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે. સંબંધિત મતદાર નોંધણી અધિકારી દ્વારા આ તમામ મતદારોને પર્સનલ નોટીસ પાઠવવામાં આવશે. તંત્રના આદેશ મુજબ, પ્રતિદિન 50 લોકોને એક BLO નોટીસ આપશે. આ મતદારોએ નોટીસમાં જણાવ્યા મુજબના પુરાવાઓ સાથે સુનાવણીમાં હાજર રહેવાનું રહેશે, ત્યારબાદ જ તેમનું નામ 17 ફેબ્રુઆરી 2026ની આખરી યાદીમાં સમાવવામાં આવશે. સ્થળાંતરના કિસ્સામાં ફોર્મ નં. 8 ભરીને નવા વિસ્તારમાં નામ નોંધણી કરાવી શકાશેજે નાગરિકોના નામ યાદીમાં નથી અથવા જેમને સરનામું બદલવાનું છે, તેમના માટે આવતીકાલ એટલે કે શનિવારથી ફોર્મ 6 અને ફોર્મ 8 ભરવાની પ્રક્રિયા શરૂ થશે. હક્ક-દાવા અને વાંધા અરજીઓ માટે 19 ડિસેમ્બર 2025 થી 18 જાન્યુઆરી 2026 સુધીનો સમય નિર્ધારિત કરાયો છે. નવા અરજદારો ફોર્મ નં. S અને Declaration Form સાથે અરજી કરી શકશે. સ્થળાંતરના કિસ્સામાં ફોર્મ નં. 8 ભરીને નવા વિસ્તારમાં નામ નોંધણી કરાવી શકાશે, જેની આખરી પ્રસિદ્ધિ 19 ફેબ્રુઆરી, 2026ના રોજ થશે. આ સઘન કામગીરી દરમિયાન સુરત જિલ્લામાં ફરજ બજાવતા બે BLO કર્મચારીઓના દુઃખદ અવસાન થયા છે. આ બાબતે સુરત જિલ્લા કલેકટર સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે વહીવટી તંત્ર બંને મૃતક કર્મચારીઓના પરિવારના સંપર્કમાં છે. પ્રાથમિક તપાસમાં આ કુદરતી મૃત્યુ હોવાનું જણાયું છે અને કોઈ પણ પ્રકારના કામના ભારણ કે માનસિક દબાણને કારણે આ ઘટના બની હોવાના પુરાવા મળ્યા નથી. આ રીતે તમે તમારું નામ ચેક કરી શકશોમતદારોની સુવિધા માટે ASD યાદી સુરત કલેકટરની વેબસાઈટ www.surat.nic.in પર અને મુસદ્દા યાદી www.ceo.gujarat.gov.in પર મૂકવામાં આવી છે. આ ઉપરાંત, નાગરિકો ઓનલાઈન માધ્યમથી www.voters.eci.gov.in અથવા Voter Helpline Mobile App દ્વારા પણ ફોર્મ ભરી શકે છે. આ આખી પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી વર્ષ માટે ક્ષતિરહિત અને સચોટ મતદારયાદી તૈયાર કરવાનો છે.
SIR-2026ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરાઈ રાજ્યમાં આજે એસઆઈઆરની ડ્રાફટ મતદાર યાદી જાહેર કરાઈ. મતદાર યાદીમાં તમારુ નામ છે કે નહીં તે ઓનલાઈ ચેક કરી શકશો. જો તમારુ નામ ન હોય તો 18 જાન્યુઆરી સુધી વાંધા અરજી કરી શકાશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નમો સ્ટેડિયમમાં આજે IND VS SA અમદાવાદના નમો સ્ટેડિયમમાં આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પાંચ મેચની સિરિઝની છેલ્લી ટી20.. મોટી સંખ્યામાં લોકો બપોરથી જ સ્ટેડિયમ પહોંચવા લાગ્યા હતા. મેચને પગલે મેટ્રો 12.30 વાગ્યા સુધી ચાલુ રહેશે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 278 બાર એસોસિએશનની આજે ચૂંટણી રાજ્યમાં 278 બાર એસોસિએશનની આજે ચૂંટણી યોજાઈ. 01 લાખ જેટલા વકીલોએ એસોસિએશનના હોદેદારોની ચૂંટણીમાં ભાગ લીઝો. .સાંજે 5 વાગ્યા સુધી મતદાન થયું.. પરિણામો રાત્રે જાહેર કરવામાં આવશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 2022માં ભાજપ કાર્યકર્તાની હત્યા કરી હતી અમદાવાદના ખાડિયામાં 2022માં ભાજપ કાર્યકર્તાની હત્યા કરનાર કુખ્યાત ડોન મોન્ટુ સહિત 4 આરોપીઓને આજીવન કેદની સજા...મોન્ટુ નામદાર, વિશ્વ રામી , જયરાજ દેસાઈ અને સુનિલ બજાણિયાને અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે સજા સંભળાવી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એરપોર્ટ પર ઉભા થશે હસ્તકલાના સ્ટોલ ગુજરાતના 10 એરપોર્ટ પર હસ્તકલાના સ્ટોલ્સ શરુ થશે. રાજકોટ,સુરત, વડોદરા, જામનગર, ભાવનગર, પોરબંદર, કંડલા, મુંદ્રા, ભુજ અને કેશોદ પર સ્થાનિક કલાને પ્રોત્સાહન આપતા સ્ટોલ્સ લાગશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સગીરાઓ ગર્ભવતી થવાના ચિંતાજનક આંકડા મહેસાણા બાદ બોટાદમાં સગીરાઓ ગર્ભવતી થવાના ચિંતાજનક આંકડા. છેલ્લા ત્રણ વર્ષમાં 427 સગીરા પ્રેગ્નન્ટ થઈ. જેમાં ગઢડા તાલુકામાં આંકડામાં સતત વધારો જોવા મળ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 15 દિવસ ડિજિટલ અરેસ્ટ કરી 1.82 લાખ કરોડ પડાવ્યા વડોદરા શહેરના સિનિયર સિટીઝન મહિલાને 15 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી 1 કરોડ 82 લાખ રુ. પડાવ્યા. તમારા નામનું સિમકાર્ડ આતંકવાદી પ્રવૃત્તિમાં વપરાયું છે અને તેનાથી 243 કરોડનું મની લોન્ડરિંગ થયાનું કહી મહિલાને ડરાવી પૈસા પડાવ્યા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાર્ટી પર નજર રાખવા ડ્રોનનો ઉપયોગ કરાશે 31 ડિસેમ્બરે થતી પાર્ટીઝમાં નશાખોરો પર લગામ કસવા સુરત પોલીસનો માસ્ટર પ્લાન.. શહેરની આસપાસ આવેલા લક્ઝરી ફાર્મ હાઉસો અને ઓપન પ્લોટમાં થતી ખાનગી પાર્ટીઓ પર આ વખતે પોલીસ ડ્રોનથી નજર રાખશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભોજનની હલકી ગુણવત્તાથી વિદ્યાર્થીઓ પરેશાન રાજકોટની સમરસ હોસ્ટેલમાં ભોજનમાંથી ઈયળો નીકળી. એટલું જ નહીં ઓવરઓલ ભોજનની ગુણવત્તા જ સાવ હલકી હોવાથી વિદ્યાર્થીઓ પરેશાન છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આ સિઝનમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ.20 કિલોના ભાવ રૂ.51થી લઈ 450 સુધી બોલાયા..1.75 લાખ કટ્ટાની આવક થતા હાલ પુરતી નવી આવક બંધ કરાઈ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામે ગૌચરની જમીન પર ખાનગી કંપની દ્વારા રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરાતા ખેડૂતો અને પશુપાલકોમાં રોષ જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ (સિદ્ધિ સિમેન્ટ) કંપની દ્વારા ગામની ગૌચર તરીકે નોંધાયેલી જમીનમાં ગ્રામજનોની પૂર્વ જાણકારી કે મંજૂરી વગર રસ્તો બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ બાબતની જાણ થતાં જ ગામના ખેડૂતો અને પશુપાલકો ઘટનાસ્થળે એકઠા થયા હતા અને કંપનીની કામગીરીનો વિરોધ કર્યો હતો. ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે ગૌચરની જમીન પશુઓના ચરાણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેમાં કોઈપણ પ્રકારની કામગીરી કરવી ગેરકાયદેસર છે. કંપની દ્વારા મંજૂરી વગર કામગીરી શરૂ કરાતા ગામના લોકોના હિતોને અસર થઈ રહી છે. આ સમગ્ર મામલે પ્રશ્નાવડા ગામના તલાટી કમ મંત્રી અજીતભાઈ મોરીએ જણાવ્યું હતું કે ખેડૂતો દ્વારા કરવામાં આવેલી રજૂઆતના આધારે સ્થળ પર તપાસ કરવામાં આવી છે. આ અંગે ખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક રીતે રસ્તાની કામગીરી બંધ નહીં કરવામાં આવે તો મામલો ઉચ્ચ કક્ષાએ રજૂ કરી આંદોલન કરવામાં આવશે.
રાજકોટ જિલ્લાના જામકંડોરણા પોલીસે 12 ડિસેમ્બરના રોજ હનીટ્રેપ કરતી બે મહિલા જાનવી અને પૂજા સહિત સાત આરોપીની ટોળકીને ઝડપી પાડી તપાસ શરૂ કરી હતી. આરોપીઓના CDR અંગે તપાસ કરવામાં આવતા અનેક લોકો આ ગેંગનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. જે પૈકી વધુ એક ભોગબનનાર વેપારીએ ફરિયાદ નોંધાવતા આ ટોળકી સામે જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓએ તેમની મોડેસ ઓપરેન્ડી મુજબ જેતપુરના વેપારીને સોશિયલ મીડિયા મારફતે સંપર્ક કેળવી બાદમાં મળવા બોલાવી રૂપિયા દોઢ લાખ પડાવ્યાં હતાં. હજુ પણ CDRમાં મળેલ નંબર પરથી સંપર્ક કરી ભોગબનનાર લોકોને ફરિયાદ નોંધાવવા પોલીસ અપીલ કરી રહી છે. આ કેસમાં કોઈ ભોગબનનાર ફરિયાદ નોંધાવશે તો તેમની ઓળખ સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે, તેની ખાતરી જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવી છે. આરોપીઓના મોબાઈલ ડેટાની તપાસમાં અનેક લોકો સંપર્કમાં હોવાનો ઘટસ્ફોટરાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરએ જણાવ્યું હતું કે, 12 ડિસેમ્બરના રોજ જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપ કરતી ગેંગ સામે ફરિયાદ નોંધઈ હતી. આરોપીઓને પકડી પાડવા માટે આ ગેંગ પાછળ 10થી વધુ પોલીસ કામે લાગી હતી. પોલીસે હનીટ્રેપ કેસમાં વિપુલ સુસરા, સવજી ઉર્ફે સાગર ઠુંગા, વિશાલ પરમાર, વિજય જોગડીયા, પૂજા સિઘ્ધપુરા, ગોપાલ સિધ્ધપુરા અને જાનવી પંચોલીની ધરપકડ કરી છે, જ્યારે આ કેસમાં ફરાર અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે. પકડાયેલ આરોપીઓના મોબાઈલ ડેટા તેમજ CDR મેળવી ટેક્નિકલ સોર્સીસ મદદથી પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં મોટા પ્રમાણમાં સંપર્ક મળી આવ્યા હતા. જે તમામની પૂછપરછ કરી હનીટ્રેપ થયું છે કે કેમ? તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. ભોગબનનારને ગભરાયા વગર ફરિયાદ નોંધાવવા પોલીસની અપીલપોલીસની આ જ તપાસ જેતપુરના એક શખસ સાથે પણ આ ટોળકીએ સોશિયલ મીડિયા મારફત સંપર્ક કેળવી બાદમાં હનીટ્રેપ આચરી તેની પાસેથી મસ મોટી રકમની ડિમાન્ડ કરવામાં આવી હતી. જે પછી રકઝકના અંતે તેની પાસેથી રૂપિયા દોઢ લાખ પડાવી તેને છોડી મુકવામાં આવ્યા હતાં. જે અંગે ફરિયાદ નોંધાવતા પોલીસ આ ટોળકી વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધી ધરપકડ કરી છે. આ ઉપરાંત CDR ડેટા મુજબ વધુ લોકો ભોગ બન્યા હોવાનો પોલીસને અનુમાન છે, જેથી વધુમાં વધુ લોકો પોલીસનો સંપર્ક કરી ગભરાયા વગર ફરિયાદ નોંધાવે તેવી અપીલ કરવામાં આવી છે. ભોગબનનાર અંગે સંપૂર્ણ માહિતી ગુપ્ત રાખવામાં આવશે તેવી ખાતરી પોલીસ દ્વારા આપવામાં આવી છે. મહિલાએ વેપારીને અવાવરું જગ્યાએ લઈ જઈ બિભત્સ હરકત કરીઆરોપીઓ પૈકી એક મહિલાએ પ્રથમ જેતપુરના વેપારી સાથે સંપર્ક કેળવી બાદમાં તેની સાથે વ્હોટ્સએપ પર ચેટિંગ કરી મળવા બોલાવ્યાં હતા. જે બાદ મહિલા વેપારીને લઇ અવાવરું જગ્યાએ લઇ ગઈ હતી, જ્યાં ઉભા રહી ગાડીમાં વેપારીનો હાથ પકડી, હગ કરી બીભત્સ ચેનચાળા શરૂ કર્યા હતાં. આ જ દરમિયાન પાછળથી મહિલાના સાથી આરોપીઓ આવી મહિલાના પરિવારજન તરીકે ઓળખ આપી વેપારી સાથે મારકૂટ કરી હતી. વેપારીને બ્લેકમેલ કરી દોઢ લાખ પડાવ્યાંમહિલાને પરત મોકલી વેપારીને દુષ્કર્મ સહીત ખોટા કેસની ધમકીઓ આપી ફસાવી દેવા બ્લેકમેલ કર્યા હતા અને તેની પાસેથી મોટી રકમની માંગણી કરવામાં આવી હતી. જે રકજકના અંતે 1.50 લાખમાં સેટિંગ થતા વેપારી પાસેથી 1.50 લાખ પડાવી વેપારીને છોડી દેવામાં આવ્યા હતા. વેપારી પોતાની આબરૂ જવા બીકે ફરિયાદ ન કરતા હતા, પરંતુ પોલીસે વિશ્વાસ અપાવી ઓળખ છુપાવાની ખાતરી આપતા અંતે વેપારીએ ફરિયાદ નોંધાવતા જેતપુર પોલીસે હનીટ્રેપ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી સાત આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પકડાયેલ આરોપી પૈકી જાનવી પંચોલી સામે તાજેતરમાં થોડા સમય પૂર્વે જૂનાગઢના ભેંસાણ પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપ અંગે ફરિયાદ નોંધાઈ ચુકી છે. જ્યારે બાકીના આરોપી વિપુલ સુસરા સામે 3 ગુના, સવજી ઠુંગા અને વિશાલ પરમાર વિરુદ્ધ એક-એક ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. શું હતી મોડેસ ઓપરેન્ડી? પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી જુદા-જુદા વેપારીઓનો સંપર્ક શોધી બાદમાં વેપારીને વ્હોટ્સએપ પર હાય, હેલો અને હાઉ આર યુ જેવા મેસેજ કરે. બાદમાં વાત શરૂ કરતા હતા. જેમાં સામે રિસ્પોન્સ મળે તો આગળ વાત કરી બાદમાં તેને જાળમાં ફસાવી મળવા માટે બોલાવતા હતાં. તેમાં પણ જો કોઈ ટુ-વ્હિલર લઈને આવેતો મળવાનું ટાળી દેતા હતાં, કારણ કે તેમનો પ્લાન ફોર-વ્હિલરમાં આગળ અવાવરું જગ્યાએ લઇ જવાનો રહેતો હતો. ફોર-વ્હિલર લઈને વેપારી આવે તો તેની સાથે અવાવરું જગ્યાએ મળવા પહોંચી બાદમાં ગેંગના બાકીના સભ્યો આવી મહિલાના ભાઈ, પિતા, પતિ, મામા સહિતની જુદી-જુદી ઓળખ આપી વેપારી સાથે મારામારી કરી દુષ્કર્મ જેવા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા. જો કેસ ન કરવો હોય તો રૂપિયા આપવા પડશે કહી રૂપિયાની માંગણી કરી રૂપિયા પડાવી લેતા હતા. આરોપીઓ સિલેક્ટેડ લોકોને જ ટાર્ગેટ બનાવતાઉલ્લેખનીય છે કે, જો કોઈ જાહેરજીવન સાથે સંકળાયેલ વ્યક્તિ એટલે કે પોલીસ અથવા તેના પરિજનો, વકીલ અથવા તેના પરિજનો, રાજનેતા કે તેના પરિજનો આ ટોળકીની જાળમાં ફસાય જાય તો તેને છોડી દેતા હતાં. તેની પાસે કોઈ રૂપિયાની માંગણી કરતા ન હતા, કારણ કે તેનાથી પોતે પોલીસ પકડમાં આવી જશે તેની જાણ હતી. માટે આરોપીઓ મોટા ભાગ વેપારીઓ તેમજ આધેડ અને સિનિયર સિટિઝનને ટાર્ગેટ કરવાનું નક્કી કરતા હતા.
ભારતના ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં 19 ડિસેમ્બરના રોજ મુસદ્દા મતદારયાદીની સત્તાવાર પ્રસિદ્ધિ કરવામાં આવી છે. આ સુધારણા પ્રક્રિયામાં જિલ્લામાંથી કુલ 1,23,000 જેટલા મતદારોના નામો વિવિધ કારણોસર કમી કરવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અજય દહિયાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, 14 ડિસેમ્બર,2025 સુધી ચાલેલી સઘન ચકાસણી ઝુંબેશ બાદ આ નામો રદ કરાયા છે. કુલ 13,49,760 નોંધાયેલા મતદારોમાંથી 1.23 લાખ નામો કમી થયા છે, જેના મુખ્ય કારણોમાં કાયમી સ્થળાંતર, મૃત્યુ અને ડુપ્લિકેશનનો સમાવેશ થાય છે. કમી કરાયેલા નામો પૈકી સૌથી વધુ 53,302 મતદારોનું કાયમી સ્થળાંતર થયું છે. આ ઉપરાંત, 50,099 મતદારોના મૃત્યુ થયા છે, જ્યારે 11,586 મતદારોનો સંપર્ક થઈ શક્યો નથી અથવા તેઓ લાંબા સમયથી ગેરહાજર છે. ડુપ્લિકેશનને કારણે 7022 અને અન્ય કારણોસર 911 નામો રદ કરવામાં આવ્યા છે. વિધાનસભા બેઠક મુજબ સૌથી વધુ 34,135 નામો હાલોલ બેઠક પરથી કમી થયા છે. ગોધરામાંથી 31,992, કાલોલમાંથી 23,025, શહેરામાંથી 17,507 અને મોરવા હડફમાંથી ૧૬,૩૪૧ નામો કમી કરાયા છે. હાલની સ્થિતિએ મુસદ્દા મતદારયાદીમાં કુલ 12,26,760 મતદારોનો સમાવેશ થાય છે. તા. 01/10/2025 મુજબ, ગોધરામાં 2,91,014 હાલોલમાં 2,84,111, શહેરામાં 2,70,386 કાલોલમાં 2,67,547 અને મોરવા હડફમાં 2,35,789 મતદારો નોંધાયેલા છે. જિલ્લા કલેકટરે નાગરિકોને અપીલ કરી છે કે આ મુસદ્દા યાદી જિલ્લાના તમામ 1609 મતદાન મથકો પર જાહેર જનતા માટે ઉપલબ્ધ રહેશે. નાગરિકો 19 ડિસેમ્બર, 2025 થી 18 જાન્યુઆરી, 2026 સુધી યાદીમાં નામ ઉમેરવા કે સુધારા કરવા માટે અરજી કરી શકશે. વાંધા અરજીઓના નિકાલ બાદ 17 ફેબ્રુઆરી, 2026ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. કોઈપણ મૂંઝવણ માટે નાગરિકો જિલ્લાની હેલ્પલાઇન 1950 પર સંપર્ક કરી શકે છે.
વડોદરામાં જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA)ના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે શુક્રવારે સેન્ટ્રલ યુનિવર્સિટી ઑફ ગુજરાત (સીયુજી)ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન યુનિવર્સિટી ઉદ્યોગ સહકાર, અભ્યાસક્રમોની રચના, કુશળતા વિકાસ અને સંશોધન ક્ષેત્રે પરસ્પર સહકારની શક્યતાઓ અંગે વિસ્તૃત વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. JICAના પ્રતિનિધિમંડળમાં કોયામા વાતારુ (ઉપ-સહાયક નિયામક, દક્ષિણ એશિયા વિભાગ-1, JICA મુખ્યાલય), ર્યોટેરો સેકિને (એસોસિયેટ પાર્ટનર, મેકિન્ઝી એન્ડ કંપની, ટોક્યો) તથા મિયાગાવા ર્યોટા (JICA, ભારત ઓફિસ)નો સમાવેશ થયો હતો. યુનિવર્સિટી–ઉદ્યોગ સહકાર અંગે ચર્ચાપ્રતિનિધિમંડળે યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટી સભ્યો અને ડીન્સ સાથે બેઠક કરી, જેમાં યુનિવર્સિટીમાં ઉપલબ્ધ અભ્યાસક્રમો, ઉદ્યોગોની વર્તમાન તથા ભવિષ્યની કુશળતા જરૂરિયાતો અને યુનિવર્સિટી ઉદ્યોગ સહકારને વધુ અસરકારક બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. JICA કાર્યક્રમના સંયોજક પ્રો. સોની કુન્જપ્પાએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ ભારત સરકારના નિર્દેશ અનુસાર આયોજિત કરવામાં આવ્યો હતો, જેનો મુખ્ય હેતુ યુનિવર્સિટી અને ઉદ્યોગ જગત વચ્ચે સંવાદ સ્થાપિત કરી ભવિષ્યની દિશા નક્કી કરવાનો છે. પ્રસ્તાવ તૈયાર કરીને શિક્ષણ મંત્રાલય તથા JICAને મોકલાશેયુનિવર્સિટીના કુલપતિ (ઈનચાર્જ) પ્રો.અતનુ ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે પ્રતિનિધિમંડળ દ્વારા કરવામાં આવેલા પ્રારંભિક અભ્યાસ (પ્રી-સ્ટડી)ના આધારે એક વિગતવાર પ્રસ્તાવ તૈયાર કરીને શિક્ષણ મંત્રાલય તથા JICAને મોકલવામાં આવશે, જેથી યુનિવર્સિટી ઉદ્યોગ સહકારને વધુ મજબૂત અને વ્યવસ્થિત સ્વરૂપ આપી શકાય. ભારત અને જાપાન વચ્ચે સહકાર અને સંશોધન ક્ષેત્ર પર ભાર મૂક્યોકાર્યક્રમની અધ્યક્ષતા કરતા સ્કૂલ ઓફ નેશનલ સિક્યુરિટી સ્ટડીઝના ડીન પ્રો.સંજય કુમાર ઝાએ ભારત અને જાપાન વચ્ચે સહકાર અને સંશોધન ક્ષેત્રે રહેલી અપાર શક્યતાઓ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે આવા સમયમાં JICAનો સહયોગ સીયુજીની શૈક્ષણિક અને સંશોધન પ્રગતિ માટે મહત્વપૂર્ણ તથા ભવિષ્યમુખી સાબિત થશે. આ અવસરે આયોજિત ટેકનિકલ સત્રોમાં સ્કૂલ ઓફ સોશિયલ સાયન્સિસના ડીન પ્રો. તાપસ કુમાર દલપતિએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ–2020ના સમગ્ર માળખા અને સીયુજીમાં તેના અમલીકરણ અંગે માહિતી આપી હતી. જ્યારે સ્કૂલ ઓફ કેમિકલ સાયન્સિસના ડીન પ્રો. દિનેશ કુમારે યુનિવર્સિટીની સેન્ટ્રલ ઇન્સ્ટ્રુમેન્ટેશન સુવિધા અંગે વિગતવાર પરિચય આપ્યો હતો. સહકાર અંગે ફેકલ્ટી સભ્યોએ વિચારો રજૂ કર્યાતે ઉપરાંત અન્ય ફેકલ્ટી સભ્યોએ સીયુજી અને JICA વચ્ચે ભવિષ્યમાં શક્ય સહકાર અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન કુશળતા વિકાસ આધારિત કોર્સ, ઉદ્યોગ-કેન્દ્રિત અભ્યાસક્રમ વિકાસ, ઇન્ટર્નશિપ મોડલ અને રોજગારમુખી શિક્ષણ, નેનો ટેકનોલોજી, પર્યાવરણમૈત્રીપૂર્ણ બાયોપ્લાસ્ટિક, ઊર્જા સંગ્રહ, પાણી શુદ્ધિકરણ, ઔદ્યોગિક ગંદા પાણી વ્યવસ્થાપન, લિંગ-સમાવેશી ઉત્પાદન તેમજ જાપાની અભ્યાસ વિભાગની સ્થાપના જેવા મહત્વપૂર્ણ વિષયો પર કુલ નવ પ્રસ્તુતિઓ આપવામાં આવી હતી. JICA પ્રતિનિધિમંડળની આ મુલાકાતથી સીયુજી અને જાપાન વચ્ચે શૈક્ષણિક, સંશોધન અને ઉદ્યોગ સહકારના નવા માર્ગો ખુલશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
ગત વર્ષે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 21 ડિસેમ્બરને “વિશ્વ ધ્યાન દિવસ” તરીકે જાહેર કર્યા બાદ, વિશ્વભરમાં આ દિવસની વાર્ષિક ઉજવણી કરવામાં આવી રહી છે. માનસિક શાંતિ, ભાવનાત્મક સંતુલન અને વૈશ્વિક એકતાનો સંદેશ આપતો આ દિવસ આ વર્ષે પણ ઉજવાશે. આ વૈશ્વિક પહેલના ભાગરૂપે, આર્ટ ઓફ લિવિંગ અમદાવાદ ચેપ્ટર દ્વારા શહેરમાં વિશ્વ ધ્યાન દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવશે. આ અવસરે અમદાવાદના નાગરિકો માટે 21 ડિસેમ્બરના સાંજે નિઃશુલ્ક ધ્યાન સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે સાબરમતી રિવરફ્રન્ટ એમ્ફિથિયેટર શાહીબાગ ખાતે “કીર્તન ક્લબિંગ” અને ધ્યાનસત્રનું આયોજન કરવામાં આવ્યું છે જેનો સમય સાંજે 7:30 થી 10:30નો રહેશે. આ ઉપરાંત સાંજે 8:30 વાગ્યે આર્ટ ઓફ લિવિંગ જ્ઞાનક્ષેત્ર સેટેલાઈટ, આર્ટ ઓફ લિવિંગ જ્ઞાનક્ષેત્ર નરોડા તેમજ આર્ટ ઓફ લિવિંગ અમદાવાદના અન્ય 41 કેન્દ્રો પર આ ધ્યાનસત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી વિશ્વભરના કરોડો લોકો સાથે લાઇવ ઓનલાઇન માધ્યમ દ્વારા સંયુક્ત ધ્યાન કરાવશે, જેમાં અમદાવાદના નાગરિકો પણ ભાગ લઈ શકશે. ભારતીય સમય અનુસાર રાત્રે 8:30 વાગ્યે “વર્લ્ડ મેડિટેટ્સ વીથ ગુરુદેવ” નામના આ વૈશ્વિક લાઇવસ્ટ્રીમ કાર્યક્રમ માં યુટ્યુબ મારફતે વિશ્વભરના કરોડો લોકો એકસાથે ધ્યાન કરશે. વિશ્વ ધ્યાન દિવસના સંદર્ભમાં, 19 ડિસેમ્બરના રોજ ન્યૂયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા ધ્યાનસત્ર યોજાયું હતું. આ કાર્યક્રમમાં સંયુક્ત રાષ્ટ્રના વરિષ્ઠ અધિકારીઓ, વૈશ્વિક નેતાઓ, રાજદૂત તથા આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા 45 વર્ષથી ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી 180થી વધુ દેશોમાં ધ્યાન અને માનવ મૂલ્યોના પ્રચારમાં કાર્યરત છે. તેમના મતે, ધ્યાન માનસિક સ્પષ્ટતા, ભાવનાત્મક સ્થિરતા અને સામાજિક સંવાદિતા વિકસાવવાનું સૌથી અસરકારક સાધન છે. વૈશ્વિક શાંતિ અને સંઘર્ષ નિવારણ માટે તેમના પ્રયાસોમાં ધ્યાનની પરિવર્તનકારી શક્તિ સ્પષ્ટ રીતે જોવા મળે છે. ભૌગોલિક રાજકીય સંઘર્ષોથી લઈને વ્યક્તિગત જીવનના પડકારો સુધી, ધ્યાન એક સર્વવ્યાપી ઉકેલરૂપે ઉભરી આવે છે. આંતરિક શાંતિ દ્વારા બાહ્ય વિશ્વમાં સમરસતા અને સહકાર સ્થાપિત કરવામાં ધ્યાન મહત્વની ભૂમિકા ભજવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પ્રથમ વિશ્વ ધ્યાન દિવસના ઉપલક્ષમાં ગુરુદેવ સાથેના લાઇવ ધ્યાન સત્રમાં વિશ્વના 85 લાખથી વધુ લોકો જોડાયા હતા, જેના પરિણામે 6થી વધુ વૈશ્વિક વિક્રમો સર્જાયા હતા.
કાંકરિયા સ્થિત દીવાન-બલ્લુભાઈ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને કલાપ્રતિભા વિકસાવવા માટે ચિત્ર હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હરીફાઈમાં ધોરણ મુજબ કુલ 667 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. હરીફાઈ દરમિયાન વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા, દેશભક્તિ, ભારતીય સંસ્કૃતિ અને સામાજિક જાગૃતિ જેવા વિવિધ વિષયો પર મનોહર ચિત્રો દોર્યા હતા. તેમણે પોતાની કલાત્મક અભિવ્યક્તિ અને કલ્પનાશક્તિ દ્વારા દર્શકોને પ્રભાવિત કર્યા હતા. શાળાના આચાર્ય બિપીનચંદ્ર પંચાલે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતાં જણાવ્યું હતું કે, આવી પ્રવૃત્તિઓ બાળકોના સર્વાંગી વિકાસ માટે અત્યંત ઉપયોગી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના કો-ઓર્ડીનેટર, ચિત્રશિક્ષકો, વર્ગશિક્ષકો અને અન્ય તમામ કર્મચારીઓએ સક્રિય સહયોગ આપ્યો હતો.
સમીની સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ ખાતે 19 ડિસેમ્બર, 2025ના રોજ માનસિક સ્વાસ્થ્ય માટે યોગનું મહત્વ વિષય પર એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સપ્તધારાની વ્યાયામ-ખેલકૂદ અને યોગધારા તેમજ NTF સમિતિના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. પાટણના પતંજલિ ચિકિત્સાલયના મેડિકલ ઓફિસર ડૉ. હેતલ બી. પ્રજાપતિએ વક્તા તરીકે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. ડૉ. હેતલ બી. પ્રજાપતિએ વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય માટે યોગનું મહત્વ વિષય પર મનનીય વ્યાખ્યાન આપવાની સાથે પ્રાયોગિક જ્ઞાન પણ પૂરું પાડ્યું હતું. તેમણે પતંજલિ મુનિ દ્વારા અપાયેલી યોગની વ્યાખ્યા – 'योग: चित्तवृत्तिनिरोध:' – ને જીવનમાં કઈ રીતે સાચા અર્થમાં ચરિતાર્થ કરી શકાય તે અંગે સચોટ માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે પ્રા. સંજય પટેલ દ્વારા પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરીને વક્તાશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કૉલેજના PTI ડૉ. જાગૃતિ પ્રજાપતિએ વક્તાશ્રીનો પરિચય કરાવ્યો હતો. આ વ્યાખ્યાનમાં કુલ ૧૧ અધ્યાપકો અને ૪૬ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન કૉલેજના આચાર્ય ડૉ. ટી.પી. આનંદ સરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સપ્તધારા કન્વીનર ડૉ. ખુશ્બુ પ્રતિક મોદીના સહયોગથી સપ્તધારાની વ્યાયામ-ખેલકૂદ અને યોગધારાના કોઓર્ડિનેટર ડૉ. જાગૃતિ પ્રજાપતિ અને NTF સમિતિના કોઓર્ડિનેટર ડૉ. અમર ચક્રવર્તીએ કાર્યક્રમનું સંકલન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન ડૉ. ખુશ્બુ પ્રતિક મોદીએ કર્યું હતું, જ્યારે આભારવિધિ ડૉ. આરતી પ્રજાપતિએ કરી હતી. તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
સુરત, વેસુ સ્થિત અગ્રવાલ વિદ્યાવિહાર અંગ્રેજી માધ્યમ મહાવિદ્યાલયમાં વિદ્યાર્થીઓ માટે લૈંગિક સમાનતા અને 'બેટી બચાવો – બેટી પઢાઓ' વિષય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં યોજાયો હતો. આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે મહિલા સેલ ક્રાઈમ બ્રાન્ચના એ.સી.પી. કે. મિની જોઝેફ અને મહિલા અને બાળ શાખાના ડી.એમ.સી. શ્રીમતી સ્મિતા પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સમાનતા, સામાજિક ન્યાય, યૌન ઉત્પીડન અને ડિજિટલ ધરપકડ જેવા મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને માર્ગદર્શન મેળવ્યું હતું. અગ્રવાલ સમાજ વિદ્યાવિહાર ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી સંજય સરાવગી, અન્ય પદાધિકારીઓ, કોલેજના મુખ્ય સલાહકાર ડૉ. યુ. ટી. દેસાઈ, I/C પ્રિન્સીપાલ ડૉ. ગૌતમ દુઆ અને સમસ્ત વ્યાખ્યાતાઓએ આમંત્રિત વક્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
સુરતના અમરોલી સ્થિત જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત જે.ઝેડ.શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઈ કોમર્સ કૉલેજમાં બુધવાર, 17 ડિસેમ્બર, 2025ના રોજ 'આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્યા સેજલ એ. દેસાઈના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં જીવન જ્યોત ટ્રસ્ટના માનદ્ મંત્રી અશ્વિનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપા – ગુજરાતના ઉપપ્રમુખ જનકભાઈ પટેલ (બગદાણાવાળા) મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. તેમણે આત્મનિર્ભર ભારતના સંકલ્પ, યુવાશક્તિની ભૂમિકા, સ્વાવલંબન, રોજગાર સર્જન અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસ વિશે પ્રેરણાદાયક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જનકભાઈ પટેલના ઉદ્દબોધનથી ઉપસ્થિત વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને આમંત્રિત મહેમાનોમાં નવી ઉર્જા અને રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત થઈ હતી. તેમણે આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા માટે સૌએ પોતાની જવાબદારી નિભાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં કુલ ૩૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન પ્રા. વિજયભાઈ એમ. ચૌધરી, ડૉ. ચિરાગ કે. સિદ્ધપુરીયા અને ડૉ. રાજભાઈ ડુમસિયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે, સૌએ આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે શપથ લીધા હતા.
નવસારીની એસ.બી. ગાર્ડા કોલેજમાં આત્મનિર્ભર ભારત – સ્વદેશી અભિયાન અંતર્ગત એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈએ વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. કોલેજના અર્થશાસ્ત્ર વિભાગ અને આઈ.ક્યુ.એ. સેલ દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ વ્યાખ્યાન તા. 18 ડિસેમ્બર, 2025ના રોજ યોજાયું હતું. કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડૉ. ધર્મવીર ગુર્જરના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીની કુ. આનંદિતા નાયકની પ્રાર્થનાથી થઈ હતી. ઇન્ચાર્જ આચાર્ય ડૉ. ધર્મવીર ગુર્જરે સ્વાગત પ્રવચનમાં ભારતની વૈશ્વિક સિદ્ધિઓ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવન વિશે સંક્ષિપ્ત માહિતી આપી હતી. ત્યારબાદ ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈનું શાલ, સ્મૃતિભેટ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યારે સહાયક વિજયભાઈ ભટ્ટનું સ્વાગત ઉપાચાર્ય ડૉ. હિતેશભાઈ પટેલે કર્યું હતું. ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈએ તેમના વ્યાખ્યાનમાં 2014થી 2025 સુધીના ટૂંકાગાળામાં ભારતે હાંસલ કરેલી વૈશ્વિક સિદ્ધિઓની પ્રશંસા કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને ભારતને આત્મનિર્ભર બનાવવા માટે સ્વદેશી વસ્તુઓ અપનાવી એક ડગલું ભરવાની ભલામણ કરી હતી. આ કાર્યક્રમમાં હાજર કુલ 172 વિદ્યાર્થીઓએ સ્વદેશી અભિયાન અંતર્ગત સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે સંકલ્પ લીધા હતા. મહેમાન ગૌતમ મહેતાએ તેમના કોલેજકાળના સંસ્મરણો વાગોળ્યા હતા. અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. અરવિંદભાઈ પટેલ, કુ. સોનલબેન પટેલ અને કુ. વંદના ધુમ સહિત અન્ય ફેકલ્ટી સભ્યો પણ ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમનું આભારદર્શન કુ. નસરીન કુરેશીએ કર્યું હતું અને સમગ્ર સંચાલન શ્રી કિશોરભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
જે.ઝેડ.શાહ કોલેજમાં વિશ્વ ધ્યાન દિવસ ઉજવાયો:વિદ્યાર્થીઓ અને સ્ટાફને ધ્યાનનું મહત્વ સમજાવવામાં આવ્યું
સુરત, અમરોલી સ્થિત જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત જે.ઝેડ.શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઈ કોમર્સ કૉલેજમાં ગુરુવાર, 18 ડિસેમ્બર, 2025ના રોજ વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે એક વિશેષ ધ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફના માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવાનો હતો.ઈ.ચા. આચાર્યા ડૉ. સેજલ એ. દેસાઈના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમની શરૂઆત તેમના હાર્દિક સ્વાગત પ્રવચનથી થઈ હતી. ત્યારબાદ દીપ પ્રાગટ્ય અને કોલેજ ગીત દ્વારા કાર્યક્રમને ઔપચારિક રીતે પ્રારંભ આપવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે શ્રી હસમુખભાઈ કુકડિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે ધ્યાનના મહત્વ પર ભાર મૂક્યો હતો.કુકડિયાએ ધ્યાનના ફાયદાઓ, માનસિક શાંતિ, આત્મસંયમ અને જીવનમાં સકારાત્મકતા લાવવામાં તેની ભૂમિકા વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. તેમણે રોજિંદા જીવનમાં ધ્યાન કેવી રીતે તણાવ ઘટાડી શકે છે અને એકાગ્રતા વધારી શકે છે તેના સરળ અને અસરકારક ઉદાહરણો રજૂ કર્યા. આ ઉપરાંત, તેમણે ઉપસ્થિત સૌ માટે ધ્યાન આધારિત એક પ્રવૃત્તિ પણ કરાવી, જેથી વિદ્યાર્થીઓ અને સ્ટાફને પ્રાયોગિક અનુભવ મળી શકે.વિશેષ વક્તા તરીકે અલ્પેશભાઈ દિયોરાએ 'આર્ટ ઓફ લિવિંગ' અને તેના વિવિધ કોર્સ વિશે વિસ્તૃત માહિતી આપી.તેમણે આર્ટ ઓફ લિવિંગ દ્વારા અપાતા ધ્યાન, પ્રાણાયામ અને વ્યક્તિત્વ વિકાસના કાર્યક્રમો વિશે સમજાવ્યું.દિયોરાએ આ કોર્સ દ્વારા વ્યક્તિના માનસિક, શારીરિક અને આધ્યાત્મિક વિકાસમાં થતા લાભો પર પ્રકાશ પાડ્યો અને વિદ્યાર્થીઓને જીવનમાં સંતુલન અને શાંતિ માટે ધ્યાન અપનાવવાની પ્રેરણા આપી. કાર્યક્રમ સંબંધિત પ્રતિસાદ એફ. વાય. બી. કોમ. ડિવિઝન–4 ના વિદ્યાર્થી જોટાણીયા રિમિત દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. રાજ એસ. ડુમસિયા અને ડૉ. મયંકભાઈ વી. સોઢા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભારવિધિ ડૉ. મયંકભાઈ વી. સોઢાએ કરી હતી. આ કાર્યક્રમમાં કોલેજના પ્રાધ્યાપકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, અને સમગ્ર ઉજવણી શાંતિપૂર્ણ તથા સકારાત્મક વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.
VNSGU ફાઈન આર્ટસ વિભાગે કેમ્પ યોજ્યો:સ્થાપનાના 20 વર્ષની ઉજવણીમાં 'જર્ની ટુ ફાઈન આર્ટસ'નું આયોજન
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ના ફાઈન આર્ટસ વિભાગ દ્વારા તેની સ્થાપનાના ૨૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે 'જર્ની ટુ ફાઈન આર્ટસ' શીર્ષક હેઠળ એક વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સુરતની વિવિધ શાળાઓના કલામાં રસ ધરાવતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.કેમ્પ દરમિયાન, વિદ્યાર્થીઓ માટે લેન્ડસ્કેપ પેઇન્ટિંગ વર્કશોપ યોજવામાં આવ્યો હતો. સહભાગીઓએ કલાની બારીકાઈઓ શીખવાની સાથે વિવિધ કલા પ્રદર્શનો પણ નિહાળ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓને ફાઈન આર્ટસ વિષયનું મહત્વ અને આ ક્ષેત્રમાં રહેલી ભવિષ્યની તકો વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.કાર્યક્રમના સમાપન સમયે, યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડાના હસ્તે સહભાગી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.કુલપતિએ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાને બિરદાવી હતી અને તેમને આગામી પરીક્ષાઓમાં સફળતા તથા ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
લુણાવાડાના સાત તળાવ ગામે ખેતરમાં યુવાનની હત્યા:પોલીસે તપાસ શરૂ કરી, મૃતદેહ પીએમ માટે ખસેડાયો
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સાત તળાવ ગામે એક યુવાનની હત્યા કરવામાં આવી છે. પ્રાથમિક વિગતો અનુસાર, રાત્રિ દરમિયાન પાક રક્ષણ માટે ખેતરમાં ગયેલા યુવાન પર જીવલેણ હુમલો થયો હતો. તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને યુવાનને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. મૃતક યુવાન સાત તળાવ ગામનો જ રહેવાસી હતો અને તેનું નામ સમીર પટેલ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા જ લુણાવાડા ટાઉન પોલીસ, SOG, LCB ટીમ સહિત DYSP ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હત્યા કોણે અને શા માટે કરી તે દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
નવસારીના ધારાગીરી નજીક પૂર્ણા નદીમાં બે દિવસ અગાઉ ખાબકેલી ટ્રકને આજે ક્રેન વડે બહાર કાઢવામાં આવી હતી. આ કામગીરીને કારણે નેશનલ હાઈવે નંબર 48 પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના પગલે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ટ્રાફિકની સ્થિતિને નિયંત્રિત કરવા માટે પોલીસે અમદાવાદથી મુંબઈ તરફ જતા વાહનવ્યવહારને ડાયવર્ટ કર્યો હતો. પોલીસે સ્થિતિને સંભાળીને વાહનવ્યવહારને સુચારુ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના ગત 17મી ડિસેમ્બરે સવારે લગભગ 7 વાગ્યે બની હતી. નવસારીના નેશનલ હાઈવે નંબર 48 પર ધારાગીરી ગામ નજીક અમદાવાદથી મુંબઈ જતા રૂટ પર એક ટ્રક ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવતા કન્ટેનર સર્વિસ રોડ પરથી સીધું પૂર્ણા નદીમાં ખાબક્યું હતું. અકસ્માતમાં ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. તેમને સામાન્ય ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ ધારાગીરી ગામના સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક ડ્રાઇવરને ટ્રકમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી. ત્યારબાદ નવસારી ફાયર વિભાગની ટીમે પણ સ્થળ પર પહોંચી ડ્રાઇવર અને ક્લીનરને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયમાં 17 ડિસેમ્બર, 2025ના રોજ ‘આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન’ અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરત મહાનગરપાલિકાના પૂર્વ મેયર અને જાહેર જીવનના અગ્રણી ડૉ. જગદીશ પટેલ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વવિદ્યાલયના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ‘આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન’ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ચેતના, સ્વાવલંબન અને વિકાસલક્ષી દૃષ્ટિકોણ વિકસાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ છે. તેમણે યુવાનોને જ્ઞાન, નવીનતા અને મૂલ્યઆધારિત શિક્ષણ દ્વારા ‘વિકસિત ભારત @2047’ના નિર્માણમાં સક્રિય ભાગીદાર બનવા આહ્વાન કર્યું. ડૉ. જગદીશ પટેલે પોતાના વ્યાખ્યાનમાં ભારતના આત્મનિર્ભર બનવાના ઐતિહાસિક પ્રવાસ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આત્મનિર્ભર ભારત માત્ર આર્થિક સંકલ્પ નથી, પરંતુ સામાજિક, સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય ચેતનાનો એક સંકલિત વિચાર છે. તેમણે ‘વિકસિત ભારત @2047’ના લક્ષ્યને સાકાર કરવા માટે શિક્ષણ, નવીનતા, ટેકનોલોજી, સ્વદેશી ઉદ્યોગો, યુવાશક્તિના સશક્તિકરણ અને સમાજના દરેક વર્ગોની સહભાગિતાની મહત્વપૂર્ણ ભૂમિકા પર વિશેષ ભાર મૂક્યો. તેમણે યુવાનોને દેશના ભવિષ્યના શિલ્પકાર ગણાવી જવાબદાર નાગરિકત્વ અને રાષ્ટ્રીય જવાબદારીના મૂલ્યો આત્મસાત કરવા અપીલ કરી. આ કાર્યક્રમમાં વિશ્વવિદ્યાલયના કુલસચિવ ડૉ. રમેશદાન ગઢવી, રાષ્ટ્રીય સેવા યોજના (NSS) ના સંયોજક ડૉ. શ્રીધર નિમાવત, અન્ય અધિકારીઓ, પ્રાધ્યાપકો, સંશોધકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ સંકલ્પપત્ર ભરી તેનું વાંચન કર્યું હતું. કાર્યક્રમનું સમાપન ડૉ. દિપેશ ઝા દ્વારા આભારવિધિ સાથે કરવામાં આવ્યું હતું, જેમાં દેશપ્રેમ અને રાષ્ટ્રીય સંકલ્પનો ઉત્સાહજનક માહોલ જોવા મળ્યો.
મોરબીમાં કોંગ્રેસનું ભાજપ કાર્યાલય પાસે પ્રદર્શન:નેશનલ હેરાલ્ડ કેસમાં રાહત બાદ 'સત્યમેવ જયતે'ના નારા
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને રાહત મળ્યા બાદ મોરબીમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે 'સત્યમેવ જયતે'ના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સમયે જિલ્લા ભાજપના આગેવાનોએ પણ 'વંદે માતરમ'ના નારા લગાવતા વાતાવરણ તંગ બન્યું હતું. આ વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાની આગેવાની હેઠળ યોજાયું હતું. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ દમયંતિબેન નિરંજની, માળીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંદીપભાઈ કલારિયા, મહેશભાઈ રાજકોટિયા સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. તેઓએ રવાપર રોડ પરના બાપાસીતારામ ચોકથી અવની ચોકડી તરફના જિલ્લા ભાજપ કાર્યાલય સુધી રેલી કાઢી હતી. ભાજપ કાર્યાલય પાસે પહોંચીને કોંગ્રેસના કાર્યકરોએ નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળેલી રાહતના સમર્થનમાં અને ભાજપની નીતિઓનો પર્દાફાશ કરવાના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. જિલ્લા પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે યંગ ઇન્ડિયા કેસમાં ED દ્વારા કરાયેલી કાર્યવાહી સંપૂર્ણ ગેરકાયદેસર અને બદઇરાદાપૂર્વક હતી, જે કોર્ટે પણ સ્વીકાર્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કોર્ટના ચુકાદામાં સ્પષ્ટ જણાવાયું છે કે EDના કેસનું કોઈ અધિકારક્ષેત્ર જ નહોતું. છેલ્લા એક દાયકાથી દેશના મુખ્ય વિરોધ પક્ષ સામે મોદી સરકારની આ રાજકીય બદઇરાદાયુક્ત કાર્યવાહીનો કોર્ટના ચુકાદા બાદ ભારતની પ્રજા સમક્ષ પર્દાફાશ થયો છે. આથી, આજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય પાસે 'સત્યમેવ જયતે'ના નારા લગાવી વિરોધ પ્રદર્શન કરાયું હતું. આ દરમિયાન મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા તેમની ઓફિસે આવતા કોંગ્રેસના આગેવાનોએ તેમને ઘેરી લીધા હતા. જોકે, જયંતિભાઈ રાજકોટિયાએ 'ભારત માતા કી જય'ના નારા લગાવ્યા હતા. ભાજપના નિર્મલભાઈ જારીયા અને જતિનભાઈ ફૂલતરિયા સહિતના આગેવાનોએ કોંગ્રેસના વિરોધ પ્રદર્શન સામે 'વંદે માતરમ'ના નારા લગાવ્યા હતા. આમ, ભાજપ અને કોંગ્રેસના આગેવાનો દ્વારા સામસામે નારેબાજી થતા ભાજપ કાર્યાલય પાસે થોડા સમય માટે રાજકીય ગરમાવો છવાયો હતો.
હિંમતનગરની હિંમત હાઈસ્કૂલ ખાતે સ્વામી વિવેકાનંદજીની 14મી રાજ્ય સ્તરીય ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 14 શાળાઓના 14 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન હિંમત હાઈસ્કૂલના આચાર્ય એસ.એસ. પટેલના નેતૃત્વ હેઠળ થયું હતું. કાર્યક્રમનું સંચાલન અને સંકલન ડી.પી. ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના સુપરવાઈઝર એસ.કે. મનાત અને પી.જે. મહેતા પણ આયોજનમાં મદદરૂપ થયા હતા. આ પ્રસંગે શાળાના આચાર્યએ સ્પર્ધકો અને આમંત્રિતોનું સ્વાગત કર્યું હતું અને કાર્યક્રમના મહત્વ વિશે સમજાવ્યું હતું. હિંમતનગરના રામકૃષ્ણ મિશનના સંચાલિકાઓ કુસુમબેન અજમેરા અને મધુ અજમેરા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. બાળકો અને સહાયકો માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે, દિયોલી હાઈસ્કૂલના શિક્ષક સંદીપભાઈ પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસન દ્વારા 'નશામુક્ત ગુજરાત અભિયાન'ને સાર્થક બનાવવા માટે પ્રતિબંધીત ગો-ગો કોન અને રોલીંગ પેપરનું વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસને સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને એલ.સી.બી. પીઆઇ એમ.કે. ખાંટ દ્વારા એલ.સી.બી. સ્ટાફના માણસોની અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી રહી હતી. આ દરમિયાન, એલ.સી.બી. ટીમ દ્વારા લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોલીંગ પેપર, ગો-ગો સ્મોકીંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનું વેચાણ કરતા પાન-પાર્લરોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન, પોલીસને બાતમી મળી હતી કે લુણાવાડા આંબેડકર ચોકની બાજુમાં આવેલી લોખંડની કેબિનમાં ધારક રોલીંગ પેપર્સ, ગો-ગો સ્મોકીંગ કોન અને પરફેક્ટ રોલનું મટીરીયલ વેચે છે. બાતમીના આધારે, પોલીસે તે જગ્યાએ જઈ તપાસ કરતા એક ઇસમ મળી આવ્યો હતો. તેણે પોતાનું નામ આફ્રીદી મોહમદ હનિફ અબ્બાસી, ધંધો વેપાર, રહેવાસી બેડા ફળિયું, લુણાવાડા, મહીસાગર જણાવ્યું હતું. આ ઇસમની દુકાનમાં તપાસ કરતા, પોલીસને 1 નંગ ગો-ગો સ્મોકીંગ કોન (કિંમત રૂ. 10), 118 નંગ રોલીંગ પેપર્સ (કિંમત રૂ. 1180) અને 1 નંગ ફિલ્ટર (કિંમત રૂ. 10) મળી આવ્યા હતા. આમ, કુલ રૂ. 1200/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આફ્રીદી મોહમદ હનિફ અબ્બાસી જાહેરનામાનો ભંગ કરી પ્રતિબંધીત ચીજવસ્તુઓનું વેચાણ કરતો મળી આવતા, તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
સુરેન્દ્રનગરની સી. યુ. શાહ હોસ્પિટલમાં મેડિકલ સાયન્સની અત્યંત જટિલ ગણાતી 'વ્હિપલ સર્જરી' સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. છેલ્લા 20 વર્ષમાં જિલ્લાના તબીબી ઇતિહાસમાં આ પ્રકારનું આ પ્રથમ ઓપરેશન છે. આ સર્જરી દ્વારા પિત્તની નળી અને સ્વાદુપિંડના કેન્સરની ગાંઠ દૂર કરીને દર્દીને નવજીવન મળ્યું છે. સુરેન્દ્રનગરના રહેવાસી કાંતિ કારેલીયાને છેલ્લા એક મહિનાથી ભૂખ ન લાગવી, મોઢામાં ચાંદા પડવા અને કબજિયાત જેવી તકલીફો હતી. પ્રાથમિક તપાસમાં કમળો જણાતા સોનોગ્રાફી કરવામાં આવી, જેમાં પિત્તની નળી સંકોચાઈ હોવાનું બહાર આવ્યું. કેસની ગંભીરતા જોઈ તેમને ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ ડો. ચિંતન ટેલર પાસે રિફર કરાયા. એન્ડોસ્કોપી અને બાયોપ્સીના રિપોર્ટમાં કાંતિભાઈને પિત્તની નળી જ્યાં નાના આંતરડામાં ખુલે છે ત્યાં કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થયું. ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ ડૉ. ચિંતન ટેલરે જણાવ્યું કે, દર્દી જ્યારે તપાસ માટે આવ્યા, ત્યારે પિત્તની નળી સંકોચાયેલી જણાઈ હતી. એન્ડોસ્કોપી તપાસમાં પિત્તની નળીના મુખ પાસે ગાંઠ હોવાનું માલુમ પડ્યું. તાત્કાલિક બાયોપ્સી અને સીટી સ્કેન કરાવતા પિત્તની નળીનું કેન્સર હોવાનું નિશ્ચિત થયું. જિલ્લા કક્ષાએ આટલું વહેલું અને સચોટ નિદાન થવાને કારણે જ અમે સમયસર સર્જરી વિભાગને કેસ સોંપી શક્યા અને દર્દીને જીવલેણ કેન્સરની જટિલતામાંથી ઉગારી શક્યા છીએ. સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલમાં લાખોના ખર્ચે થતી આ સર્જરીનો સક્સેસ રેટ લગભગ 50 ટકા જેટલો હોય છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ આ પડકાર ઝીલવાનું નક્કી કરાયું. તબીબોની 10 કલાકની અવિરત જહેમત અને અત્યાધુનિક સુવિધાઓના સમન્વયથી આ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું. દર્દીના પુત્ર ધવલ કારેલીયાએ સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા જણાવ્યું કે, આયુષ્માન કાર્ડને કારણે એક પણ રૂપિયો ખર્ચ્યા વગર મારા પિતાનું જટિલ ઓપરેશન અને સારવાર તદ્દન મફત થઈ છે. સરકારની આ ઉમદા યોજનાને કારણે આજે મારા પિતાને નવજીવન મળ્યું છે, જે બદલ અમે સરકારના આજીવન ઋણી રહીશું. સર્જરીની જટિલતા અંગે ડૉ. કમલેશ ગલાણીએ જણાવ્યું કે, આ ઓપરેશનમાં સ્વાદુપિંડનો ભાગ, પિત્તાશયની કોથળી અને નાના આંતરડાના ભાગો દૂર કરી ફરીથી જોડવામાં આવે છે. સતત 10 કલાકની જહેમત બાદ આ ઓપરેશન સફળ રહ્યું છે અને દર્દી હવે સંપૂર્ણ સ્વસ્થ છે. આ ઓપરેશનની સફળતામાં હોસ્પિટલના કેન્સર નિષ્ણાંત અને એનેસ્થેસિયા ટીમનું યોગદાન પણ અભૂતપૂર્વ રહ્યું હતું. કેન્સર નિષ્ણાંત ડૉ. ભાવિક વસોયાએ જણાવ્યું હતું કે, આ પ્રકારની સર્જરીનો સક્સેસ રેટ ઘણો ઓછો હોય છે, પરંતુ યોગ્ય નિદાન અને સચોટ આયોજન સાથે અમે આ કામગીરી શરૂ કરી. હોસ્પિટલમાં જે અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે, તેને કારણે અમે આટલું જટિલ ઓપરેશન કરી શક્યા છીએ. સર્જરી ટીમમાં સામેલ ડૉ. હરેશ મેમરીયાએ જણાવ્યું કે, આ સફળતા પાછળ ટીમ વર્ક મોટું કારણ છે. સર્જરી વિભાગ અને એનેસ્થેસિયા વિભાગના ડોક્ટરોના સંકલનથી આ અશક્ય લાગતું ઓપરેશન સફળ થયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં જ આવી સુવિધા મળવાને કારણે દર્દીને અમદાવાદ કે રાજકોટ સુધી લાંબા થવું પડ્યું નથી અને સમયસર સારવાર મળી શકી છે.
મોરબીમાં મહાપાલિકાનું બુલડોઝર એક્શન:લાતી પ્લોટમાં બીજા દિવસે 30થી વધુ દબાણો દૂર કરાયા
મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં મહાપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી બીજા દિવસે પણ ચાલુ રહી હતી. શુક્રવારે શેરી નંબર 8 માં 30થી વધુ કાચા-પાકા દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. ગુરુવારે લાતી પ્લોટની શેરી નંબર 3-4 વચ્ચે પણ ડિમોલેશન હાથ ધરાયું હતું, જેમાં 30થી વધુ દબાણો દૂર કરાયા હતા. આમ, છેલ્લા બે દિવસમાં લાતી પ્લોટ વિસ્તારમાં કુલ 60થી વધુ દબાણો હટાવવામાં આવ્યા છે. અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ, લાતી પ્લોટ વિસ્તારમાં રસ્તાની સરેરાશ પહોળાઈ 9 મીટર છે. જોકે, દબાણોને કારણે કેટલીક શેરીઓમાં રસ્તો માત્ર ચારથી પાંચ મીટર જ પહોળો રહ્યો હતો. બંને બાજુએ થયેલા દબાણોને કારણે વાહનવ્યવહારમાં અડચણ ઊભી થતી હતી. આ દબાણ હટાવવાની કામગીરી ખાસ કરીને સ્ટ્રોમ વોટર અને ગટર લાઇન પાથરવાના વિકાસ કાર્યો માટે કરવામાં આવી રહી છે. વિકાસ કામોમાં નડતરરૂપ બનતા દબાણોને પ્રાથમિકતાના ધોરણે દૂર કરવામાં આવી રહ્યા છે. મહાપાલિકાએ જણાવ્યું છે કે આગામી દિવસોમાં પણ અન્ય વિસ્તારોમાં આ કામગીરી ચાલુ રહેશે.
પાલનપુરમાં પ્રતિબંધિત ગો-ગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરનું વેચાણ કરતા એક શખ્સને એસ.ઓ.જી. (SOG) ટીમે ઝડપી પાડ્યો છે. માનસરોવર ફાટકના નાકા પર આવેલા જય ગોગા પાર્લરમાંથી દિનેશ હમીરભાઈ પરમાર નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. એસ.ઓ.જી. દ્વારા દરોડા દરમિયાન આરોપી પાસેથી ગો-ગો સ્મોકિંગ કોનના 14 બોક્સ અને રોલિંગ પેપરની 36 સ્ટ્રીપ જપ્ત કરવામાં આવી હતી. આ પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ પાન પાર્લરમાંથી થતું હતું. 'નો ડ્રગ્સ ઇન ગુજરાત' અને 'નશામુક્ત ગુજરાત' અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં એસ.ઓ.જી. દ્વારા પાન-પાર્લરની તપાસ કરવામાં આવી રહી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત 570 રૂપિયા આંકવામાં આવી છે, જેમાં સ્મોકિંગ કોનના બોક્સની કિંમત 210 રૂપિયા અને રોલિંગ પેપરની સ્ટ્રીપની કિંમત 360 રૂપિયાનો સમાવેશ થાય છે.
ગોધરામાં AQI માત્ર 26 નોંધાયો:શહેરની હવા અત્યંત શુદ્ધ, વાતાવરણ આહલાદક બન્યું
ગોધરા શહેરની હવાની ગુણવત્તા અત્યંત શુદ્ધ નોંધાઈ છે. કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સવારે લેવાયેલા રીડિંગ મુજબ, શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) માત્ર 26 રહ્યો હતો, જે 'સારી' શ્રેણીમાં આવે છે. આનાથી વાતાવરણ આહલાદક બન્યું છે. તા. 19 ડિસેમ્બર 2025ના રોજ સવારે કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિસ્તારમાં હવાની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી. પર્યાવરણના માપદંડો અનુસાર, AQI 26 એટલે હવામાં પ્રદૂષણનું પ્રમાણ નહિવત્ છે અને તે જાહેર આરોગ્ય માટે કોઈ જોખમ ઊભું કરતું નથી. આ શુદ્ધ હવાને કારણે નાના બાળકો, વૃદ્ધો અને શ્વાસની તકલીફ ધરાવતા લોકો સહિત તમામ વયના નાગરિકો કોઈપણ ડર વગર બહાર હરી-ફરી શકે છે. તેઓ કસરત કે મોર્નિંગ વોક જેવી પ્રવૃત્તિઓ પણ સરળતાથી કરી શકે છે. આ પ્રસંગે સ્વચ્છતા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર ડૉ. સુજાત વલીએ નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, શહેરની હવા શુદ્ધ રહે તે આપણા સૌના સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે. તેમણે નાગરિકોને પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવા અને સ્વચ્છતા અભિયાનમાં સતત સહકાર આપવા અનુરોધ કર્યો હતો.
પાટણ શહેરમાં વારસાઈના નામે છેતરપિંડીનો એક કિસ્સો સામે આવ્યો છે. પદ્યનાથ વિસ્તારના દિપેશ ભાટીયાએ તેમના મોટાબાપા ઇન્દુલાલ રસીકલાલ ભાટીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મોટાબાપા પર પરિવારના સભ્યોની જાણ બહાર નકલી સહીઓ કરીને ખોટું સોગંદનામું તૈયાર કરી દાદાના નામનું વીજ કનેક્શન પોતાના નામે ટ્રાન્સફર કરાવી લેવાનો આરોપ છે. પોલીસે આ મામલે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદી દિપેશ ભાટીયાના દાદા રસીકલાલ જેસંગલાલ ભાટીયાની પાટણના નવજીવન સર્કલ પાસે ટાયર પંચરની દુકાન આવેલી છે. વર્ષ 2014માં દાદા અને પિતાના અવસાન બાદ દિપેશ આ દુકાનનો વહીવટ સંભાળતા હતા. બેંકમાં નોકરી મળ્યા બાદ તેમનું દુકાને જવાનું ઓછું થયું હતું. 14 માર્ચ, 2024ના રોજ દિપેશ દુકાને ગયા ત્યારે વીજ બિલમાં દાદાના નામને બદલે મોટાબાપા ઇન્દુલાલ ભાટીયા (રહે. ચાંદખેડા, અમદાવાદ) નું નામ જોઈને તેમને શંકા ગઈ હતી. આ ફેરફાર અંગે UGVCL કચેરીમાં તપાસ કરતા સંતોષકારક જવાબ ન મળતા, દિપેશ ભાટીયાએ RTI દ્વારા માહિતી મંગાવી હતી. RTI દ્વારા મળેલા દસ્તાવેજોમાં સામે આવ્યું કે, ઇન્દુલાલ ભાટીયાએ 11 જાન્યુઆરી, 2024ના રોજ એક વારસાઈ સોગંદનામું રજૂ કર્યું હતું. આ સોગંદનામામાં ફરિયાદી દિપેશ, તેમની માતા ધનવંતીબેન, ભાઈ નિરવ અને બહેન નિકીતાની ખોટી સહીઓ કરવામાં આવી હતી. આ નકલી સહીઓ ધરાવતા સોગંદનામાના આધારે વીજ કંપનીમાં છેતરપિંડી કરીને કનેક્શન પોતાના નામે કરાવી લેવાયું હતું. જ્યારે દિપેશે મોટાબાપાને આ અંગે પૂછ્યું ત્યારે તેમણે આ કૃત્ય સ્વીકારીને તેમાં પોતાનો હક હોવાનું જણાવ્યું હતું. પાટણ બી. ડિવિઝન પોલીસે ખોટા દસ્તાવેજો બનાવી વિશ્વાસઘાત કરવા બદલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં ન્યુયર સેલિબ્રેશન માટેનું કાઉન્ટ-ડાઉન શરૂ થઈ ચુકયું છે. 31st ડિસેમ્બર પહેલા દારૂનો જથ્થો શહેરમાં ઘુસાડવા માટે નુસ્ખાઓ અપનાવવામાં આવી રહ્યા છે જોકે પોલીસ પણ સતર્ક બની બુટલેગરોના નુસખાઓને નાકામ બનાવી રહી છે. આજે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા દારૂ ભરેલો મીની ટ્રક ઝડપી પાડી ટ્રક લઈને નિકળેલા નડિયાદના બે આરોપીઓને ઝડપી પાડી ફરાર બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે. હાલ પોલીસે 18.72 લાખના દારૂ સહીત ટ્રક મળી કુલ 28.82 લાખના મુદામાલ સાથે બે આરોપીને ઝડપી ટ્રક સાત દારૂ મોકલનાર અને રાજકોટમાં દારૂ મંગાવનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટિમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ જતા રસ્તે મૈસુર ભગત ચોક પાસે એક મિનિ ટ્રકમાં છાપાની પસ્તીની આડમાં દારૂ ભરી ચોટીલા તરફથી બેડી ચોકડીવાળા રસ્તે આવતો હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ વી.ડી.ડોડિયા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી. આ સમયે બેડી ચોકડી તરફથી મિનિટ્રક નીકળતા તેને અટકાવી ડ્રાઈવરની પુછપરછ કરતાં તેણે પોતાનું નામ ધર્મેન્દ્ર ગોપાલભાઈ ઠાકોર (ઉ.વ.27) અને તેની બાજુમાં બેઠેલા શખ્સે પોતાનું નામ મોહન હરજાજી ભીલ (ઉ.વ.50) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ટ્રકની તલાશી લેતાં તેમાં છાપાની પસ્તીની આડમાંથી દારૂનો જથ્થો મળી આવતાં પોલીસે રૂ.18.72 લાખની વિદેશી દારૂની 6000 નંગ બોટલ કબજે કરી બંને આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની પુછપરછ કરાતાં આ દારૂ ભરેલો ટ્રક ચોટીલાથી વિશાલસિંગ સુનિલસિંગ રાજપુત નામના શખ્સે આપ્યા હોવાનું અને કેતન રાઠોડ નામના શખ્સે મંગાવ્યો હોવાનું જણાવતાં પોલીસે ચારેય સામે ગુનો દાખલ કરી વિશાલસિંગ અને કેતન રાઠોડની ધરપકડ કરવા વધુ તપાસ હાથ ધરી છે.
પાવી જેતપુર તાલુકાના અણિયાદ્રી ગામની પ્રાથમિક શાળા નંબર 1 ની કમ્પાઉન્ડ વોલના નિર્માણ કાર્યમાં મોટા પાયે ગોબાચારી થઈ રહી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ગામના ડેપ્યુટી સરપંચ સહિતના આગેવાનોએ કામમાં હલકી ગુણવત્તાની અને કાચી ઈંટો વાપરવામાં આવતી હોવાનો આરોપ લગાવ્યો છે. આ પ્રાથમિક શાળાનું નવું મકાન થોડા સમય પહેલા જ બનાવવામાં આવ્યું હતું. હવે તેની કમ્પાઉન્ડ વોલનું કામ ચાલી રહ્યું છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, કોન્ટ્રાક્ટર દ્વારા જૂના પાયા પર જ નવા પાયાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. વપરાતી ઈંટો પણ અત્યંત કાચી અને હલકી કક્ષાની હોવાનું કહેવાય છે. શાળાના આચાર્યએ કામ શરૂ થતાં જ ઈંટોની ગુણવત્તા અંગે સર્વ શિક્ષા અભિયાનના ટી.આર.પી.ને જાણ કરી હતી. જોકે, ટી.આર.પી.એ આ ઈંટો યોગ્ય હોવાનું જણાવીને કામ ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો હતો. તાજેતરમાં, ગામના આગેવાનો અને ડેપ્યુટી સરપંચ સહિતના લોકોએ કમ્પાઉન્ડ વોલના ચાલી રહેલા કામની મુલાકાત લીધી હતી. તેમણે કામની ગુણવત્તા સામે નારાજગી વ્યક્ત કરી હતી અને જ્યાં સુધી ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર આવીને યોગ્ય તપાસ ન કરે ત્યાં સુધી કામ બંધ રાખવાની માંગ કરી હતી. સાવ હલકી કક્ષાની અને કાચી ઈંટો કમ્પાઉન્ડ વોલમાં વાપરવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓ આ મામલે સઘન તપાસ અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે દ્વારકા શારદાપીઠાધીશ્વર અનંત વિભૂષિત જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજનું આગમન થયું હતું. સનાતન ધર્મ જાગૃતિ સેવા અભિયાન અંતર્ગત તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરના વાવડી બુઝર્ગ વિસ્તારમાં પી.ટી. મીરાણી હોસ્પિટલની બાજુમાં આવેલા સ્વામી લીલાશાહ આશ્રમ (કુટિયા) ખાતે શંકરાચાર્યજીનું ભવ્ય સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું. સિંધી સમાજ અને ગોધરાના ધર્મપ્રેમી નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શંકરાચાર્યજી સનાતન ધર્મના પ્રચાર-પ્રસાર અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે ગોધરા અને આસપાસના વિસ્તારોમાં વિચરણ કરી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન લીલાશાહ આશ્રમ ખાતે વિશેષ સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો. જગદગુરુ શંકરાચાર્યજીએ આશીર્વચન આપતા જણાવ્યું હતું કે, વર્તમાન ભૌતિકવાદી યુગમાં મનુષ્ય માટે ધર્મ, સંસ્કાર અને સંયમનું મહત્વ સમજવું અત્યંત આવશ્યક છે. તેમણે ઉમેર્યું હતું કે, સનાતન ધર્મની પરંપરા અને આધ્યાત્મિક ચેતનાને જાગૃત કરવા માટે આવા કાર્યક્રમો મહત્વની ભૂમિકા ભજવે છે. ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ શંકરાચાર્યજીના દર્શન અને સત્સંગનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
ગાંભોઈ પોલીસ સ્ટેશનની વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી:સુરક્ષા સેતુ અંતર્ગત કામગીરી અને સાધનોની માહિતી અપાઈ
હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશનની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને પોલીસની કામગીરી અને ઉપયોગી સાધનો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ગાંભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.જે. ગોસ્વામીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, શુક્રવારે સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત ગાંભોઈ પ્રાથમિક જૂથ શાળાના વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ પોલીસ સ્ટેશનમાં થતી કાર્યવાહી વિશે માહિતી આપવાનો હતો. વિદ્યાર્થીઓને લોકઅપ, VHF રેડિયો, હથિયારો, સાયબર ફ્રોડ હેલ્પલાઈન નંબર 1930, જનરક્ષક હેલ્પલાઈન 112 અને ટ્રાફિક નિયમો વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.27 ઓક્ટોબરના Special Intensive Revision (SIR) એટલે કે 'ખાસ સઘન સુધારણા' કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ તા.4 નવેમ્બરથી તા.14 ડિસેમ્બર દરમ્યાન Enumeration Form (EF) ગણતરી ફોર્મનો સમયગાળો નકકી કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 23.91 લાખ મતદારોની ચકાસણી પૂર્ણ થઈ ચૂકી છે. જેમાં 89,553 મૃત મતદારો મળી આવ્યા છે. જ્યારે 58,942 મતદારો સ્થળ પર હાજર મળી આવ્યા નથી તો 10,736 મતદારો ડુપ્લીકેટ મતદારો હોવાથી તેઓના નામ ડ્રાફટ મતદારયાદીમાંથી કમી કરવામાં આવ્યા છે. જ્યારે 7304 મતદારોના અન્ય કારણોથી નામ દૂર કરવામાં આવ્યા છે. આમ કુલ 1,66,535 મતદારોના નામ રદ થયા છે. આજે 19 ડિસેમ્બરના ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કર્યા બાદ હવે વર્ષ 2026માં 18 જાન્યુઆરી સુધી વાંધા અરજી કરી શકાશે. જેઓના હિયરિંગ બાદ 17 ફેબ્રુઆરીના ફાઇનલ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. રાજકોટ જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાની 8 વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ કુલ 23,91,027 મતદારોની BLO દ્વારા ખરાઈ કરવામાં આવી. જેમાંથી 8,23,668 મતદારોની વર્ષ 2002 ની મતદારયાદી સાથે સેલ્ફ મેપિંગ કરવામાં આવ્યું હતુ. જ્યારે 10,06,177 મતદારોનું વંશાવલી એટલે કે Progeny Mapping કરવામાં આવ્યુ હતુ. જ્યારે 2,25,512 મતદારો એવા છે કે જેઓનું મેપિંગ થઈ શક્યુ નથી. આ સાથે જ 89,553 મતદારો અવસાન પામ્યા હોવાનું સામે આવ્યુ છે. તેથી તેઓના નામો ડ્રાફટ મતદારયાદીમાંથી કમી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 58,942 મતદારો સ્થળ ઉપર હાજર મળી આવ્યા નથી. જેથી તેઓના નામ પણ ડ્રાફટ મતદારયાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં 1,69,135 મતદારો કાયમી સ્થળાંતર થયેલા છે. જ્યારે 10,736 મતદારો ડુપ્લીકેટ મતદારો હોવાથી તેઓના નામ ડ્રાફટ મતદારયાદીમાંથી કમી કરવામાં આવ્યા છે. જ્યારે 7304 મતદારોના અન્ય કારણોથી નામ દૂર કરવામાં આવ્યા છે. SIR ની કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં રાજકીય પક્ષો સાથે 5 બેઠકો કરવામાં આવી છે. જે બાદ આજે 19 ડિસેમ્બરના જિલ્લામાં સમાવિષ્ટ તમામ 8 વિધાનસભા મતવિસ્તારની 'ખાસ સધન સુધારણા' કાર્યક્રમ અંતર્ગત ડ્રાફ્ટ રોલ એટલે કે મુસદ્દા મતદારયાદી (કાચી મતદાર યાદી) જાહેર કરવામાં આવેલી છે. તેમણે જણાવ્યું કે, આ યાદી કલેક્ટર કચેરી, તમામ મતદાર નોંધણી અધિકારીની કચેરી, મામલતદાર કચેરી/મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી અને નિયુક્ત મતદાન મથકો પર જોઈ શકાશે. આ ઉપરાંત CEO Gujarat ની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે. આ પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા રહે તે માટે તમામ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને ડ્રાફ્ટ રોલની નકલી સોંપવામાં આવી છે. જેમાં ગેરહાજર, સ્થળાંતરિત અને મૃતક મતદારોની યાદી અલગથી તૈયાર કરી રાજકીય પક્ષોને અપાઈ છે. જેથી કોઈ ખોટા નામ રદ ન થાય તેની ખાતરી કરી શકાય. હવે 19 ડિસેમ્બર થી 18 જાન્યુઆરી સુધીમાં હક્ક-દાવા અને વાંધા અરજી રજૂ કરી શકાશે. જ્યારે 19 ડિસેમ્બરથી 10 ફેબ્રુઆરી,2026 સુધીમાં નોટીસનો તબકકો ચાલશે. જેમાં નોટીસ ઇશ્યુ કરવાની સાથે સુનાવણી અને ચકાસણી કરવામાં આવશે. આ દરમિયાન જેમની ઉંમર 1 જાન્યુઆરી, 2026 ના 18 વર્ષ પૂર્ણ થતી હોય તેવો નવું નામ નોંધાવવા માટે ફોર્મ નં.6 ભરી શકે છે. નામ રદ કરવા માટે ફોર્મ નં.7, નામ કે વિગતોમાં સુધારા-વધારા અથવા સરનામું બદલવા માટે ફોર્મ નં.8 ભરવાનું રહેશે. આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ 17 ફેબ્રુઆરી, 2026 ના રોજ થશે. SIR પ્રક્રિયા દરમિયાન જે મતદારોનું 2002 ની મતદારયાદી સાથે મેપીંગ થયેલ ન હોય તેવા મતદારોને નિયત પુરાવા રજૂ કરવા વિનંતી છે.
મોરબીના પીપળી ગામ પાસે આવેલી ચાર સોસાયટીના આશરે 300 મકાનધારકોને પ્રાથમિક સુવિધાઓ જેવી કે વીજળી, પાણી અને ગટર પૂરી પાડવામાં ન આવતા 8 બિલ્ડરો સામે છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સોસાયટીઓમાં માનસધામ સોસાયટી 1 અને 2, ગોકુલધામ અને ત્રિલોકધામનો સમાવેશ થાય છે. છેલ્લા પાંચ વર્ષથી અહીં રહેતા લોકોને મકાન વેચતી વખતે બિલ્ડરો દ્વારા અપાયેલા વચનો મુજબની સુવિધાઓ મળી નથી. બિલ્ડરોએ રેસિડેન્શિયલ સોસાયટી બનાવીને મકાનો વેચ્યા હોવા છતાં, લોકોને માત્ર પ્લોટના દસ્તાવેજો જ આપવામાં આવ્યા હોવાનું જયશ્રીબેન નામના સ્થાનિકે જણાવ્યું હતું. હિમાલયભાઈ કડછીએ જણાવ્યું કે, ચારેય સોસાયટીના રહેવાસીઓને વીજળી, પાણી અને ગટર જેવી સુવિધાઓ પૂરી પાડવાનું વચન આપીને તે આપવામાં આવી નથી. આથી, સોસાયટીના લોકોએ બિલ્ડરો દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી છે. માનસધામ સોસાયટીમાં રહેતા અને મજૂરી કામ કરતા વિનોદભાઈ મોતીભાઈ પરમાર (ઉં.વ. 44) એ આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં મનીષભાઈ કાલરીયા, ચિંતનભાઈ ગામી, મિહિરસિંહ દિલીપસિંહ જાડેજા, રાજદીપ નિલેશભાઈ ગામી, જગદીશભાઈ એરવાડીયા, અંકિતભાઈ નેસડિયા, પ્રવીણભાઈ ગામી અને કિશોરભાઈ શેરસીયા નામના 8 બિલ્ડરોનો સમાવેશ થાય છે. પોલીસે આ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ પ્રાથમિક સુવિધાઓ અંગે પીપળી ગ્રામ પંચાયતના તલાટી મંત્રીએ જણાવ્યું હતું કે, આ ચારેય સોસાયટીઓનો કબજો હજુ સુધી ગ્રામ પંચાયતને સોંપવામાં આવ્યો નથી. રોડ-રસ્તા અને કોમન પ્લોટનો કબજો ન મળવા છતાં, ગ્રામ પંચાયત દ્વારા અઠવાડિયામાં એક વખત પાણી અને અન્ય પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જો સોસાયટીનો કબજો અને રોડ-રસ્તા પંચાયતને સોંપવામાં આવે તો જ સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કરીને લોકોની સુખાકારીમાં વધારો કરી શકાય છે.
પાટણના શખ્સ સહિત બે સામે ગુનો:સાયબર ફ્રોડના ₹20 લાખથી વધુ સગેવગે કરવા બદલ ફરિયાદ
પાટણ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવાના ગુનામાં બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપીઓએ ભારતના અલગ-અલગ રાજ્યોમાં થયેલી છેતરપિંડીના નાણાં પોતાના બેંક ખાતામાં મેળવી, કમિશનની લાલચે તે રકમ વિડ્રો કરી ગુનાહિત કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું છે. પાટણ સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા નોંધાયેલી વિગતો મુજબ, સાયબર ક્રાઈમ સેલ અને સમન્વય પોર્ટલના ઇનપુટ્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં સિદ્ધપુર ખાતે આવેલી બેંક ઓફ બરોડાના એક કરંટ એકાઉન્ટમાં શંકાસ્પદ વ્યવહારો જણાયા હતા. આ ખાતું પ્રકાશચંદ્ર સોમાભાઈ પટેલના નામે હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે 1 સપ્ટેમ્બર, 2025 થી 30 નવેમ્બર, 2025 દરમિયાન આ ખાતામાં કુલ ₹20,32,000 ની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ રકમ અલગ-અલગ 17 જેટલા સાયબર ફ્રોડના કિસ્સાઓ સાથે જોડાયેલી હતી, જેની ફરિયાદો ગુજરાત સહિત તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, તેલંગણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં નોંધાયેલી છે. પોલીસ પૂછપરછમાં ખાતાધારક પ્રકાશચંદ્ર પટેલે કબૂલાત કરી હતી કે તે અગાઉ ગ્લોબલ વિઝા સર્વિસની ઓફિસ ચલાવતો હતો અને દોઢેક વર્ષ પહેલા પાટણથી યુરોપ શિફ્ટ થયો હતો. આ દરમિયાન તેનો સંપર્ક સિદ્ધપુરના ચાટાવાડા ગામના પાર્થ ગોવિંદભાઈ પ્રજાપતિ સાથે થયો હતો. પાર્થ પ્રજાપતિએ પોતાના નાણાં પ્રકાશચંદ્રના ખાતામાં નાખવા દેવા બદલ 4 ટકા વળતરની લાલચ આપી હતી. આ કાવતરાના ભાગરૂપે પાર્થે અત્યાર સુધીમાં પ્રકાશચંદ્રને ₹80,000 રોકડા આપ્યા હતા. પ્રકાશચંદ્ર બેંકમાંથી ચેક અને એટીએમ દ્વારા નાણાં ઉપાડીને પાટણની અલગ-અલગ આંગડિયા પેઢીઓ મારફતે મોકલી આપતો હતો. આ સમગ્ર મામલે પોલીસે પ્રકાશચંદ્ર સોમાભાઈ પટેલ અને પાર્થ ગોવિંદભાઈ પ્રજાપતિ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 317(2), 317(4), 317(5) અને 61(2)(a) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને આંગડિયા મારફતે નાણાં ક્યાં મોકલવામાં આવ્યા હતા તે અંગે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.આર. પટેલ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
પશ્ચિમ કચ્છ LCBએ બે ચોરીના ગુના ઉકેલ્યા:ગઢશીશા પોલીસ મથકના આરોપીઓ મુદ્દામાલ સાથે ઝડપાયા
પશ્ચિમ કચ્છ-ભુજની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ગઢશીશા પોલીસ મથકના વિસ્તારમાં નોંધાયેલા બે વણશોધાયેલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. LCB ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર. જેઠી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.બી. જાદવની સૂચના મુજબ, LCB ટીમના એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી, હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઇ ગઢવી, લીલાભાઇ ગઢવી, રાજેશભાઈ ગઢવી અને કોન્સ્ટેબલ ભરતભાઇ ગઢવી ચોરીના ગુનાઓની તપાસ કરી રહ્યા હતા. તપાસ દરમિયાન, મુળરાજભાઇ ગઢવી અને લીલાભાઇ દેસાઇને ખાનગી બાતમી મળી હતી કે, ચંદુ ઇસ્માઇલ કોળી (રહે. ભોજાય, તા. માંડવી) તેના સાથીદારો સાથે ભોજાય ગામથી દેઢીયા ગામ તરફ જતા રસ્તા પર શંકાસ્પદ મુદ્દામાલ સાથે ઉભો છે. આ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી. પોલીસે ચંદુ ઇસ્માઇલ કોળી, ચિંતન ઉર્ફે ચીટુ ઠાકરશી ઓડીયાણા (રાજપુત) અને રાજેશ ઇસ્માઇલ કોળીને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી પવનચક્કીના નટ-બોલ્ટ અને છ બેટરીઓ મળી આવી હતી. આરોપીઓ આ મુદ્દામાલ અંગે કોઈ આધાર-પુરાવા આપી શક્યા ન હતા. યુક્તિપૂર્વક પૂછપરછ કરતા આરોપીઓએ કબૂલ્યું કે, તેમની પાસેથી મળેલા નટ-બોલ્ટ અને અન્ય પવનચક્કીનો સામાન ભોજાયમાં સુઝલોન કંપનીના ભાડાના મકાનમાંથી ચોર્યો હતો. ઉપરાંત, એક બેટરી તુફાન ગાડીમાંથી અને પાંચ ઝાટકા મશીનની બેટરીઓ અલગ-અલગ વાડીઓમાંથી ચોરી કરી હતી. વધુ પૂછપરછમાં, ચંદુ કોળી અને ચિંતન ઓડીયાણાએ ભોજાય ગામમાંથી એક જ્યુપિટર મોપેડ અને એક સાઇન મોટરસાઇકલ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. તેમણે બે અલગ-અલગ વાડીઓમાંથી ટપક સિંચાઈ માટેની ડ્રિપ પાઇપલાઇન પણ ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસે તમામ મળી આવેલો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓને બી.એન.એસ.એસ. કલમ મુજબ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કબજે કરાયેલા મુદ્દામાલમાં આશરે 40 કિલો નટ-બોલ્ટ (રૂ. 4,000), છ નાની-મોટી બેટરીઓ (રૂ. 30,000) અને એક મોબાઇલ ફોન (રૂ. 5000) નો સમાવેશ થાય છે.
વડોદરા શહેરમાં અસામાજિક તત્વોનો ફેલાવો દિન-પ્રતિદિન વધી રહ્યો હોય તેમ જણાય છે. ગત મોડી રાત્રે વડોદરાના કલાલી ફાટક પાસે આવેલી ગોકુલ નગર સોસાયટીમાં અસામાજિક તત્વોએ રસ્તા પર પાર્ક કરેલી એક પીકઅપ વાનને સળગાવી દીધી હતી. અજાણ્યા બે શંકાસ્પદ શખ્સો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા, જેને લઇને પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે FSLની પણ મદદ લીધી છે. વડોદરાના કલાલી વિસ્તારમાં આવેલા ગોકુલ નગરમાં રાત્રિના સમયે એક પીકઅપ વાન પાર્ક કરેલી હતી. આ દરમિયાન બાઈક પર આવેલા બે અજાણ્યા શંકાસ્પદ શખ્સોએ વાન પાસે દેખાયા હતા. કોઈએ શખ્સોએ જલદ પદાર્થ અથવા અન્ય કોઈ રીતે વાનમાં આગ ચાંપી હતી. આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે, વાનનો આગળનો ભાગ જોતજોતામાં લપેટમાં આવી ગયો હતો. સ્થાનિકોએ ધુમાડો અને જ્વાળાઓ જોતા જ તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગેની જાણ થતાં જ અટલાદરા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે વાન માલિકની ફરિયાદના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજ કબજે કરીને પોલીસે તપાસ તેજ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ અંગત અદાવત છે કે અસામાજિક તત્વો દ્વારા ફેલાવવામાં આવેલો ભય, તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
તા. 15 ડિસેમ્બર 2025 ના રોજ સ્વામિનારાયણ મહામંત્ર ના પ્રાગટ્ય દિને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ તરવડાના દિવ્ય પ્રાંગણમાં કૃષ્ણપ્રિયદાસજી સ્વામીના સાનિધ્યમાં એક મહિનાની અખંડધુનનો પ્રારંભ કરવામાં આવ્યો. જેનું આગામી 24 થી 28 ડિસેમ્બર સુધી ઉજવાઈ રહેલ તરવડા ગુરુકુલના રજતજયંતિ મહોત્સવ ઉપક્રમે આયોજન થયેલ છે. આ પ્રસંગે પ. ભ. ધીરુ બાબરીયા તથા ચિરાગ ઠેસિયા વગેરે યજમાનો તથા ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવ ગુરુકુલ સંસ્કૃતિના પુનરોધ્ધરાક સંતવર્ય ધર્મજીવનદાસજી સ્વામીના 125માં વર્ષે ભાવંજલિ અર્પવાના ભાગરૂપે ઉજવાશે. આ પ્રસંગે દેશ-વિદેશથી ગુરુકુલ પરિવારના હજારો હરિભક્તો તથા મહાનુભાવો પધારશે. ગુરુકુલના ભવ્ય પ્રાંગણમાં મહોત્સવની ધામધૂમથી તૈયારી થઇ રહી છે.
નર્મદા જિલ્લા બાર એસોસિએશનની ચૂંટણી:એડવોકેટ વંદના ભટ્ટ સતત 12મી વાર પ્રમુખ પદે વિજેતા બની
નર્મદા જિલ્લા બાર એસોસિએશનની રાજપીપળા જિલ્લા ન્યાયાલય ખાતે બારરૂમમાં યોજાઈ હતી. આ યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ પદે એડવોકેટ વંદના ભટ્ટ બિન હરીફ ચૂંટાઈ આવ્યા છે. વંદના ભટ્ટ છેલ્લા અગિયાર વર્ષથી સતત પ્રમુખ પદે સેવારત રહી બાર એસોસિએશનને માર્ગદર્શન આપી રહ્યા છે. અને બારમીવાર તેઓ જીત્યા છે અને પોતાનોજ રેકોર્ડ તોડ્યો છે. તેમની સાથે મંત્રી (Secretary) પદે આદિલ પઠાણ પણ બિન હરીફ ચૂંટાઈ આવ્યા છે. આ સાથે ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી કમિશનર તરીકે જાવેદ સૈયદ, ઘનસ્યામ પંચાલ, ચિરાગ મલેક ભૂમિકા ભજવી હતી. જેમાં કુલ 135 મતદારોમાંથી મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં અશ્વિન રોહિત અને પ્રમોદ વસાવા વચ્ચે જંગ જામ્યો છે. પરિણામ બાદ હાર જીત ની ખબર પડશે.નર્મદા જિલ્લા બાર એસોસિએશન દ્વારા ચૂંટણી સમગ્ર રીતે શાંતિપૂર્ણ, લોકશાહી ભાવનાથી અને એકતાના માહોલમાં સંપન્ન થઈ હતી.
વલસાડ વકીલ મંડળ (GAW-175) ની નવી બોડીની બિનહરીફ વરણી કરવામાં આવી છે. આ પ્રક્રિયામાં અમિતકુમાર યોગેશકુમાર ગુપ્તા પ્રમુખ તરીકે ચૂંટાયા છે. ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા 19 ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવાના આદેશ બાદ આ નવી બોડીની રચના કરવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયાને સુચારુ બનાવવા માટે અનિલભાઈ દરબારને ચૂંટણી કમિશનર અને કૃપાલી ભંડારીને સહ-ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. બાર કાઉન્સિલના નિયમોનું ચુસ્તપણે પાલન કરીને સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ વખતે વલસાડ વકીલ મંડળની સમગ્ર બોડી બિનહરીફ (સમરસ) જાહેર થઈ છે, જે વકીલો વચ્ચેની પરસ્પર સમજૂતી અને એકતા દર્શાવે છે. નવી બોડીમાં નીચે મુજબના સભ્યોની વરણી કરવામાં આવી છેપ્રમુખ: અમિતકુમાર યોગેશકુમાર ગુપ્તાઉપપ્રમુખ: ઉમેશભાઈ બાજપાઈ અને વિશાલભાઈ ઠાકોરસેક્રેટરી: દીપકભાઈ ચીકુભાઈ પટેલજોઈન્ટ સેક્રેટરી: અવિનાશ ડી. ગુપ્તા અને હુફરિયા કે. દારૂવાલામેનેજિંગ કમિટી: ભરતભાઈ નાયક, અશોકભાઈ સક્સેના, દીપકભાઈ મિશ્રા અને ચૈતાલીબેન ટંડેલટ્રેઝરર: શૈલેષભાઈ ચૌહાણ અને શ્વેતા લક્ષેશભાઈ પારેખઈ-લાઈબ્રેરી: મયુરભાઈ મોરિયાલાઈબ્રેરી: સિરાજભાઈ સૈયદ. નવનિયુક્ત પ્રમુખ અમિતકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, આખી બોડી સમરસ થઈને સ્થાપિત થઈ હોવાથી વકીલ આલમમાં આનંદ છે. આગામી સમયમાં અમે વકીલોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે કટિબદ્ધ રહીશું. નવનિયુક્ત હોદ્દેદારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય સામે કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને રાહત મળતા, પાટણ જિલ્લા કોંગ્રેસે આ રીતે પોતાની ખુશી વ્યક્ત કરી હતી. કાર્યકરો લીલીવાડી પાસે એકત્રિત થઈ રેલી સ્વરૂપે ભાજપ કાર્યાલય સુધી પહોંચ્યા હતા. પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ સરકાર વિરોધી અને ભાજપ હાય હાય ના નારા લગાવ્યા હતા. કોંગ્રેસ પક્ષે આક્ષેપ કર્યો હતો કે, ભાજપ દ્વારા બંને નેતાઓને ખોટી રીતે આ કેસમાં ફસાવવામાં આવ્યા હતા. અદાલતી કાર્યવાહીમાં ક્લીન ચીટ મળતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપ કાર્યાલય ખાતે તંગદિલી સર્જાઈ હતી. કોંગ્રેસના કાર્યકરો ભાજપ કાર્યાલયમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા સુરક્ષામાં તૈનાત પોલીસ જવાનો સાથે ઘર્ષણ થયું હતું. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો અને ભાજપ કાર્યાલયની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમર દેસાઈએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારે EDનો ઉપયોગ કરીને નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વ, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, નામદાર કોર્ટે બંને નેતાઓને સંપૂર્ણપણે નિર્દોષ જાહેર કર્યા છે. દેસાઈએ વધુમાં જણાવ્યું કે, આ નિર્દોષ જાહેર થવાના આનંદમાં પાટણ જિલ્લા કોંગ્રેસે ભાજપની નીતિઓ સામે વિરોધ નોંધાવવા અને આવા શાસકોને દેશમાંથી હાંકી કાઢવા માટે આ રેલીનું આયોજન કર્યું હતું. કાર્યકરોએ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના સમર્થનમાં નારા લગાવ્યા હતા. તેમણે ચેતવણી આપી હતી કે, જો ભવિષ્યમાં કોંગ્રેસના કોઈપણ નેતાને નિશાન બનાવવામાં આવશે, તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.
રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ વલસાડ ખાતે સશક્ત નારી મેળાના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત' અભિયાનથી દેશને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળી છે. તેમણે ભારતના આધુનિક ક્ષેત્રે વિશ્વના નેતૃત્વકર્તા તરીકે ઉભરી આવવા પર ભાર મૂક્યો હતો. મંત્રી દેસાઈએ કોરોના મહામારી દરમિયાન ભારતની ક્ષમતાનું ઉદાહરણ આપ્યું. તેમણે જણાવ્યું કે, શરૂઆતમાં માસ્કની અછત હોવા છતાં, ભારતે ટૂંકા સમયમાં સ્વદેશી રસી વિકસાવી અને વિશ્વના 100 થી વધુ દેશોને પૂરી પાડીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. તેમણે વડાપ્રધાનની 'લખપતિ દીદી' યોજનાની પ્રશંસા કરી. આ યોજનાથી દેશભરની મહિલાઓમાં આર્થિક સદ્ધરતા માટે સ્પર્ધા જાગી છે, જેનાથી સ્થાનિક કલાકારો અને કારીગરોને પ્રોત્સાહન મળ્યું છે અને રોજગારીની નવી તકો ઊભી થઈ છે. આરોગ્ય અને પર્યાવરણના સંદર્ભમાં, વડાપ્રધાને 'મિશન લાઈફ' અંતર્ગત જાડા ધાન્ય (Millets) જેવા કે નાગલી અને બાજરીને પ્રોત્સાહન આપ્યું છે. આ ધાન્યોની માંગ હવે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં વધી રહી છે, જે ખેડૂતો માટે આર્થિક રીતે ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, ભારત હવે માત્ર ચીજવસ્તુઓ આયાત કરનારો દેશ નથી રહ્યો, પરંતુ ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓ નિકાસ કરનારો આત્મનિર્ભર દેશ બન્યો છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રીના નેતૃત્વની પણ પ્રશંસા કરી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારતીય ઉત્પાદનો ટૂંક સમયમાં વૈશ્વિક બજારમાં પોતાની આગવી છાપ છોડશે.
નસવાડીમાં આંગણવાડી જર્જરિત ઝૂંપડામાં:નાના ભૂલકાઓ જીવના જોખમે શિક્ષણ મેળવી રહ્યા છે
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જેમલગઢ ગામના આલિયાઘોડા ફળિયામાં આવેલી આંગણવાડી જર્જરિત ઝૂંપડામાં ચાલી રહી છે. આ સ્થિતિને કારણે નાના બાળકો જીવના જોખમે શિક્ષણ મેળવવા મજબૂર બન્યા છે. આ આંગણવાડી વર્ષોથી એક ખાનગી કાચા મકાનમાં કાર્યરત છે. મકાનની દીવાલો ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવી સ્થિતિમાં છે, અને છત પરથી સડેલા લાકડા પડવાની પણ શક્યતા છે. શિયાળા અને ઉનાળામાં બાળકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જ્યારે ચોમાસામાં છત પરથી પાણી ટપકવાના કારણે વાલીઓ પોતાના બાળકોને અહીં મોકલતા ડરી રહ્યા છે. આલિયાઘોડા ગામની આંગણવાડી લગભગ 2011માં શરૂ થઈ હતી. 2012થી આંગણવાડીના મકાનનું કામ ચાલુ હોવાનું જણાવાયું છે, પરંતુ આંગણવાડી અધિકારીઓના જણાવ્યા મુજબ હજુ પણ 20%
બનાસકાંઠા LCBએ પાલનપુર તાલુકા વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. બલેનો ગાડીમાંથી કુલ 7,65,933/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જોકે, ગાડીનું ટાયર ફાટતાં ચાલક અને તેનો સાથી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના અને LCB પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ, LCB સ્ટાફ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તેમને બાતમી મળી હતી કે દારૂની હેરાફેરી થઈ રહી છે. બાતમીના આધારે, ચિત્રાસણી આશીર્વાદ હોટલ આગળ હાઈવે પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી. ઇકબાલગઢ તરફથી આવતી બલેનો ગાડી (નં. GJ.24.AF.1150) ને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે ગાડી ઉભી રાખી ન હતી. પોલીસે પીછો કરતાં મલાણા ગામ તરફ જતા રોડ પર ગાડીનું ટાયર ફાટી ગયું હતું, જેથી ચાલક અને તેની બાજુમાં બેઠેલો ઇસમ ગાડી છોડીને નાસી છૂટ્યા હતા. બલેનો ગાડીમાંથી ગેરકાયદેસર અને પાસ-પરમિટ વગરની ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 1367 બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹3,65,933/- આંકવામાં આવી છે. દારૂ અને ગાડી સહિત કુલ ₹7,65,933/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ફરાર થયેલા આરોપીઓ વિરુદ્ધ પાલનપુર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બરવાળા બાર એસોસિએશન પ્રમુખ તરીકે કમલેશ રાઠોડની બિનહરીફ વરણી:સિનિયર એડવોકેટ 13મી વખત આ પદ પર ચૂંટાયા
બરવાળા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સિનિયર એડવોકેટ કમલેશ રાઠોડની 13મી વખત બિનહરીફ વરણી કરવામાં આવી છે. તેમની સાથે અન્ય હોદ્દેદારોની પણ સર્વાનુમતે પસંદગી થઈ હતી. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની માર્ગદર્શિકા મુજબ રાજ્યભરની કોર્ટમાં વકીલ મંડળના હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ હતી. બરવાળા બાર એસોસિએશન માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ પ્રમુખ સહિતના તમામ હોદ્દાઓ માટે એક પણ ઉમેદવારી ફોર્મ ભરાયું ન હતું. આ અનુસંધાને બરવાળા કોર્ટ ખાતે સવારે 11:00 કલાકે બાર રૂમમાં બરવાળા બાર એસોસિએશનની બેઠક મળી હતી. ચૂંટણી અધિકારી પી.એમ. રાઠોડના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં તમામ વકીલોની ઉપસ્થિતિમાં સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. કમલેશ રાઠોડ ઉપરાંત, ઉપપ્રમુખ તરીકે જે.બી. થોરીયા, સેક્રેટરી તરીકે એ.આર. ચાવડા, ખજાનચી તરીકે પી.એચ. સતાણી, લેડીઝ રિપ્રેઝન્ટેટિવ તરીકે એ.પી. ચૂડેસરા અને લાઇબ્રેરીયન તરીકે કે.વી. પરમારની પણ સર્વાનુમતે બિનહરીફ વરણી થઈ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કે.ડી. રાઠોડે કર્યું હતું. આ પ્રસંગે પ્રમુખ કમલેશ રાઠોડે તમામ વકીલ મિત્રોનો આભાર માન્યો હતો અને વકીલોના પ્રશ્નો અંગે સતત ચિંતિત રહી સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી.
નસવાડી સિવિલ કોર્ટમાં નસવાડી વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રી સહિતના હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. વકીલોએ સર્વાનુમતે ચૂંટણીને બદલે પસંદગી કરવાનો નિર્ણય લીધો હતો. આજરોજ નસવાડી સિવિલ કોર્ટના વકીલ રૂમમાં વકીલ મંડળની ચૂંટણી માટે બેઠક યોજાઈ હતી. વકીલો વચ્ચે મતભેદ ટાળવા અને મંડળમાં એકતા જાળવવા માટે ચૂંટણી યોજવાને બદલે સર્વાનુમતે હોદ્દેદારોની પસંદગી કરવાનો નિર્ણય લેવાયો હતો. ચૂંટણી અધિકારી તરીકે કુલદીપ એન. રાજપૂતની નિમણૂક કરવામાં આવી હતી. તેમની હાજરીમાં પ્રમુખ પદ માટે રમેશભાઈ આર. પ્રજાપતિ, ઉપપ્રમુખ તરીકે જયેશભાઈ બી. શાહ અને મંત્રી તરીકે સહેજાદ વાય. મેમણે ફોર્મ ભર્યા હતા. આ ઉપરાંત, સહમંત્રી પદ માટે નોફિલ મેમણ અને મહિલા અનામત સભ્ય તરીકે નિધિબેન એન. ડુ. ભીલે પણ ફોર્મ ભર્યા હતા. આ તમામ ઉમેદવારો સામે કોઈ અન્ય ઉમેદવારે ફોર્મ ન ભરતા, તેમની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. નવા વરાયેલા વકીલ મંડળે આગામી સમયમાં નસવાડી કોર્ટમાં પુસ્તકાલય, રમતગમતના સાધનો અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા વકીલોને માહિતી મળી રહે તે માટે ટીવી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો સંકલ્પ લીધો હતો.
ભરૂચમાં 'સશક્ત નારી મેળા'નો પ્રારંભ:મહિલા સશક્તિકરણ અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન
ભરૂચમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત જિલ્લા સ્તરીય “સશક્ત નારી મેળા”નો શુભારંભ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે થયો છે. આ ત્રિ-દિવસીય મેળો 19 થી 21 ડિસેમ્બર સુધી ચાલશે. રાજ્ય કક્ષાના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત તથા ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી સંજયસિંહ મહિડાના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા સશક્તિકરણ, સ્વદેશી વિચારધારા અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો છે. ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠા ગજ્જર, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી કુ. નિશા ચૌધરી, ડીઆરડીએ નિયામક નૈતિકા પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, મોટી સંખ્યામાં મહિલા મંડળો અને સ્વસહાય જૂથોના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. આ મેળામાં હર ઘર સ્વદેશી અને લોકલ ફોર વોકલના સંદેશને અનુરૂપ આશરે 100 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. આ સ્ટોલમાં મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલી સ્વદેશી હસ્તકલા, ગૃહઉદ્યોગ ઉત્પાદનો, મિલેટ આધારિત ખાદ્ય પદાર્થો, સ્વસહાય જૂથોના ઉત્પાદનો, કૃષિ આધારિત તથા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો તેમજ મહિલા ઉદ્યોગસાહસિકોના વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ થઈ રહ્યું છે. મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો, તેમના ઉત્પાદનોને વ્યાપક બજાર પૂરું પાડવાનો અને તેમને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે એક સક્ષમ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. આ ઉપરાંત, મહિલા કેન્દ્રિત રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ, આજીવિકા કાર્યક્રમો, સ્વરોજગાર, સ્ટાર્ટઅપ સહાય, સહકારી પહેલો તથા મહિલા કલ્યાણ યોજનાઓ અંગે જાગૃતિ ફેલાવવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે મંત્રી સહિતના મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. તેમણે મહિલાઓના ઉત્પાદનોને નિહાળી તેમની કામગીરીને બિરદાવી મહિલાઓને વધુ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં વ્યાપાર અને ઉદ્યોગોને વેગ આપવા માટે 'વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ'ના પૂર્વાધરૂપે જિલ્લા કક્ષાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અંતર્ગત બોટાદના ગઢડા રોડ પર આવેલી મહાદેવ હોટલ ખાતે 'વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી રિવાબા જાડેજા પ્રેરક ઉપસ્થિતિ રહ્યા હતા. આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય બોટાદ જિલ્લામાં રોકાણો વધારવા અને સ્થાનિક રોજગારીનું સર્જન કરવાનો હતો. આ અવસરે કુલ 11 ઔદ્યોગિક એકમો સાથે સમજૂતી કરાર (MOU) કરવામાં આવ્યા હતા. આ MOU અંતર્ગત જિલ્લામાં ₹300 કરોડથી વધુનું રોકાણ આવવાની શક્યતા છે, જે લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) ને મોટું પ્રોત્સાહન આપશે. મંત્રી રિવાબા જાડેજાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, બોટાદ જિલ્લો વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે. સરકારની ઉદ્યોગ મૈત્રીપૂર્ણ નીતિઓને કારણે અહીં રોકાણકારો માટે અનેક તકો રહેલી છે. તેમણે સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરી ઉદ્યોગો સ્થાપવા અને તેના થકી સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી કરવા પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજા ઉપરાંત બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર જીન્સી રોય, જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, APMC ચેરમેન મનહરભાઈ માતરીયા, મધુસુદન ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારી, સુરેશભાઇ ગોધાણી, ધીરુભાઈ ગઢવી, નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયા તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિવિધ ઉદ્યોગપતિઓ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ સાથે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.
દેવગઢબારીયા તાલુકાના રૂવાબારી ગામે ગેલ ઇન્ડિયા ગેસ પાઇપલાઇનમાં આગ લાગવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને એક વ્યાપક ઈમરજન્સી મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પ્રશાસન, ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગના સહયોગથી આ અભ્યાસ યોજાયો હતો. મોકડ્રિલ દરમિયાન, ગેસ પાઇપલાઇનમાં આગ લાગવાની કાલ્પનિક પરિસ્થિતિ ઊભી કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ વિભાગ દ્વારા વિસ્તારને સુરક્ષિત કરીને અવરજવર અને ભીડ નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રશાસને તાત્કાલિક રાહત અને બચાવ વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી. આ મોકડ્રિલનો મુખ્ય હેતુ આપત્તિ સમયે વિવિધ વિભાગો વચ્ચે સંકલન, સમયસર નિર્ણય પ્રક્રિયા અને સાધનોના યોગ્ય ઉપયોગ અંગેની તૈયારી ચકાસવાનો હતો. તેનો ઉદ્દેશ સંભવિત આપત્તિ સમયે ઝડપી અને સંકલિત કાર્યવાહી સુનિશ્ચિત કરવાનો હતો. મોકડ્રિલ દરમિયાન ગામલોકોને પણ મહત્વપૂર્ણ રીતે જોડવામાં આવ્યા હતા. ગ્રામજનોને સંભવિત જોખમની પરિસ્થિતિમાં શું કરવું, કયા માર્ગે સુરક્ષિત સ્થળે ખસેડાવું, અફવાઓથી દૂર રહેવું અને પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવું તે અંગે સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ મોકડ્રિલમાં જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી, મામલતદાર તથા પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર અભ્યાસ દરમિયાન વિવિધ વિભાગોની તૈયારી, સાધનસામગ્રી અને પરસ્પર સંકલનની પ્રક્રિયા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ગેસ પાઇપલાઇન જેવા સંવેદનશીલ પ્રોજેક્ટની આસપાસ વસતા લોકો માટે સુરક્ષા વ્યવસ્થા અત્યંત મહત્વની હોવાથી આવી મોકડ્રિલ જરૂરી બની રહે છે. આ પ્રકારની ઈમરજન્સી મોકડ્રિલ દ્વારા ગેસ પાઇપલાઇન નજીકના વિસ્તારમાં રહેતા લોકોમાં સુરક્ષા અંગે જાગૃતિ વધે છે. સાથે જ, પ્રશાસનને પોતાની તૈયારીઓની ખામીઓ ઓળખી તેને સુધારવાની તક મળે છે. રૂવાબારી ગામે યોજાયેલી આ મોકડ્રિલથી આપત્તિ વ્યવસ્થાપન માટેની તૈયારી વધુ મજબૂત બનવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.
નકલી PSI એ નવરંગપુરા પોલીસ અને ગુજરાત યુનિવર્સિટી પોલીસને દોડતી કરી દીધી હોવાનું સામે આવ્યું છે. થોડા દિવસ પહેલા નવરંગપુરા પોલીસ સ્ટેશનના PSO પર ફોન આવ્યો હતો. મહેસાણા જિલ્લામાંથી PSI રાઠોડ બોલુ છું હોવાનું કહી એક એડ્રેસ પર ગાડી મોકલવા ઓર્ડર કર્યો હતો. એડ્રેસ ગુજરાત યુનિવર્સિટીના હદમાં આવતું હોવાથી તે કોલ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટી PCR વાન ચાલકે લોકેશન પર જઈને ફોન કરતા PSI ન બોલતા હોવાની શંકા ગઈ હતી. શંકાના આધારે પ્રાથમિક પૂછપરછ કરતા નકલી PSI હોવાનો ભાંડો ફુટયો હતો. જેના આધારે ગુજરાત યુનિવર્સિટી પોલીસે નકલી PSI તરુણ બ્રહ્મભટ્ટની ધરપકડ કરી હતી. નકલી PSI બનવાનું કારણ શું હતું તેની તપાસ હાથ ધરવામાં આવી છે. કાળાજી પોલીસ સ્ટેશનમાં PSOની ડ્યુટીમાં હાજર હતા ત્યારે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં PSO તરીકે ફરજ બજાવતા વિભાબેનનો ફોન આવ્યો. વિભાબેને ફોન પર કહ્યુ હતું કે આ મોબાઈલ નંબર પર PSI રાઠોડ સાહેબ સાથે તમે વાત કરી લો. કાળુજીએ નંબર પર ફોન કર્યો ત્યારે સામેથી જવાબ આવ્યો કે હું મહેસાણાથી PSI રાઠોડ બોલુ છું, મેમનગર ફાયર સ્ટેશન પાસે આવેલો રાવજી ફ્લેટ તમારા હદમાં આવે છે. કાળુજીએ રાઠોડે હા બોલીને જવાબ આપ્યો હતો. PSI તરીકે ઓળખ આપનાર રાઠોડે ફોન પર જણાવ્યુ હતુ કે અમારો એક આરોપી આ સરનામે રહે છે. તમારી ગાડી ત્યા મોકલી આપો અને જે ગાડીમાં મોકલો તેમાં ફરજ બજાવતા પોલીસ કર્મીને મારો નંબર આપી દેજો અને કહેજો પહોંચીને ફોન કરે. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાંથી એક PCR વાન આપેલ એડ્રેસ પર મોકલવામાં આવી હતી. જ્યાં પહોંચીને PCR વાર ચાલકે આપેલા નંબર પર PSI રાઠોડને ફોન કર્યો હતો. PSI રાઠોડ સાથે વાતચીત દરમિયાન PCR વાન ચાલકને શંકા ગઈ હતી. જેથી ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. શંકાના આધારે મહેસાણા જિલ્લામાં PSI રાઠોડ કરીને કોઈ ફરજ બજાવે છે કે નહીં અને બજાવે છે તો તેનો નંબર શું છે ? તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે મહેસાણા જિલ્લામાં PSI રાઠોડ તરીકે કોઈ ફરજ બજાવતા નથી. જેથી નંબરના આધારે નકલી PSI તરીકેની ઓળખ આપી પોલીસને દોડતી કરતા ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી નંબરના આધારે તપાસ હાથ ધરતા PSI તરીકે ખોટી ઓળખ આપનાર વ્યક્તિ પાટણમાં રહેતો હોવાનું સામે આવ્યું હતું. તેમજ વધુ તપાસ કરતા PSI તરીકે ઓળખ આપનાર વ્યક્તિ તરુણ બ્રહ્મભટ્ટ હોવાનું સામે આવ્યું હતું. જેથી ગુજરાત યુનિવર્સિટી દ્વારા આરોપી તરૂણ બ્રહ્મભટ્ટની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા તેની પત્નીને બીભત્સ મેસેજ કરતા હોવાથી નકલી પોલીસ બન્યો હોવાનું કબૂલ્યું હતું. તેમજ આરોપી અગાઉ પણ અનેક પોલીસ સ્ટેશનમાં નકલી ઓળખ આપવાના અને ચીટીંગના ગુના નોંધાઈ ચૂક્યા છે. જેથી આરોપી સાચું બોલી રહ્યો છે કે ખોટું તેને લઈને આવે ગુજરાત યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બી ડિવિઝન ACP એચ.એમ. કણસાગરા એ જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લામાં PSI રાઠોડ તરીકેની ઓળખ આપી નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો હતો. આરોપી તમારી હદમાં રહે છે તેવું કહી એડ્રેસ આપ્યું હતું જેથી નવરંગપુરા પોલીસ સ્ટેશનમાંથી એવું કહેવામાં આવ્યું કે આ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. જે બાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન કોલ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. PCR વાનના ચાલકને સ્થળ પર પહોંચીને પીએસઆઇ રાઠોડનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું હતું. જે બાદ PCR વાન ચાલકે વાત ફોન પર વાત કરનાર PSI ન હોવાની શંકા ગઈ હતી. જેથી પ્રાથમિક શંકાના આધારે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેન્સથી ખાતરી કરવામાં આવી હતી PCR રાઠોડ મહેસાણા જિલ્લામાં નોકરી કરે છે કે કેમ. ખાતરી કરતા મોબાઈલ નંબર ધરાવનાર અને કોઈપણ પીએસઆઇ રાઠોડ ન હોવાનું જાણવા મળ્યું હતું. જેથી નકલી પોલીસ તરીકેની ઓળખ આપી હોવાથી ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટી દ્વારા આરોપીઓને શોધવા માટે ચક્રો ગતિમાન કરી દીધા હતા. આરોપી તરૂણ ભરતભાઈ બ્રહ્મભટ્ટ હોવાનું અને પાટણ જિલ્લામાં રહેતો હોવાનું સામે આવ્યું હતું. જેથી આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં તેને જણાવ્યું હતું કે તેની પત્નીને કોઈ બીભત્સ મેસેજ કરી હેરાન કરતો હતો જેથી તેને દબાવવા માટે અને તેને લાવવા માટે પોલીસની મદદ લીધી હોવાનું કબૂલ્યું હતું. તરુણ બ્રહ્મભટ્ટ સામે મહેસાણા, ખોખરા પોલીસ સ્ટેશન, પાટણમાં અને ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં પણ ખોટી ઓળખ આપવાના અને ચીટીંગના ગુના નોંધાયા હોવાનું મળી આવ્યું છે. અન્ય કોઈ પોલીસ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે કે નહીં તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે. ધોરણ 12 પાસ હોવાની અને જમીનની લે વેચ કરતો હોવાનું આરોપીએ કબૂલ્યું હતું. પરંતુ આરોપી આ પ્રકારના ધંધા કરે છે કે નહીં તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે. બકુલભાઈ નામના વ્યક્તિનું નામ આપી તેનો સંપર્ક નંબર પણ આપવામાં આવ્યો હતો. પોલીસને જ પોલીસ તરીકે ખોટી ઓળખ આપી ગેરમાર્ગે દોડતા ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. જે વ્યક્તિનું નામ આપવામાં આવ્યું છે તેનો સંપર્ક શું કારણથી કરવામાં આવતો હતો તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પીએસઆઇ બોલતો હોવાનું કહી નવરંગપુરા પોલીસ સ્ટેશન અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના PSOને ઓળખ આપી હતી. પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ શંકા જતા તપાસ કરતાં નકલી પોલીસ હોવાનું સામે આવ્યું હતું. બકુલભાઈની પણ પૂછપરછ હાથ ધરવામાં આવશે.
Rare Earth Reserves on Andhra Pradesh Coast: ચીન જેના પર વિશ્વ પર રાજ કરવા માંગે છે, તે હવે ખતમ થવા જઈ રહ્યું છે. હવે ભારતને એક 'બ્રહ્માસ્ત્ર' હાથ લાગ્યું છે જે ડ્રેગનની મનમાની પર કાબુ મેળવવાનું સરળ બનાવશે. આંધ્ર પ્રદેશના 974 કિલોમીટરના દરિયાકાંઠે રેયર અર્થ મટિરિયલ્સનો વિશાળ ભંડાર મળી આવ્યો છે. નિષ્ણાતો કહે છે કે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે મળી આવતી રેયર અર્થ મટિરિયલ્સ ઉચ્ચ ગુણવત્તાની છે. જેના વિના, ફાઇટર જેટ, સ્માર્ટફોન, મિસાઈલ, ઇલેક્ટ્રિક વાહનો વગેરેનું ઉત્પાદન કરવું અશક્ય છે.
અમદાવાદમાં વર્ષ 2022માં ખાડિયામાં ભાજપ કાર્યકર્તાની હત્યાના મામલે અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે 4 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આરોપી મોન્ટુ નામદાર, વિશ્વ રામી , જયરાજ દેસાઈ અને સુનિલ બજાણિયાને આજીવન કેદની સજા ફટકારાઈ છે. કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર ઉપર વર્ષ 2022માં ભાજપના કાર્યકરની હત્યા કરવાના આરોપસર IPCની કલમ 143, 144, 147, 148, 149, 302,120B અને ગુજરાત પોલીસ એક્ટ 135 ની કલમ મુજબ ગુનો નોંધાયો હતો. અસલાલી સર્કલ નજીકના નામદાર ફાર્મ હાઉસમાંથી પોલીસને ચકમો આપીને ભાગ્યો હતો'અમદાવાદનો ડોન' મોન્ટુ નામદાર 19મી જૂને અસલાલી સર્કલ નજીકના નામદાર ફાર્મ હાઉસમાંથી પોલીસને ચકમો આપીને ભાગી ગયો હતો. જેને શોધવા ગુજરાત પોલીસે આકાશ-પાતાળ એક કર્યાં હતાં. આ નામચીન આરોપી અંદાજે 1 મહિના બાદ ફરીથી પકડાઇ ગયો હતો. મોન્ટુ જ્યારે ફરાર થયો ત્યારે તે પોલીસના જાપ્તામાં હતો. તેને મુદત માટે નડિયાદથી અમદાવાદની કોર્ટમાં લવાયો હતો જ્યાંથી પોલીસકર્મીઓ સાંજે તેને લઇને નડિયાદ પાછા જતા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) અને ગાંધીનગર સ્થિત INFLIBNET સેન્ટર વચ્ચે 'શોધચક્ર' પોર્ટલ માટે સમજૂતી કરાર (MOU) કરવામાં આવ્યા છે. આ કરારનો મુખ્ય હેતુ ગુણવત્તાયુક્ત સંશોધનને પ્રોત્સાહન આપવાનો અને વિદ્યાર્થી-સુપરવાઈઝર વચ્ચે પારદર્શિતા વધારવાનો છે. નોડલ ઓફિસર રજની પટેલે જણાવ્યું હતું કે, આ કરાર અંતર્ગત PhD સંશોધન સાથે સંકળાયેલી તમામ ભૌતિક કામગીરી હવે ઓનલાઈન પ્લેટફોર્મ પર ખસેડવામાં આવશે. આનાથી સંશોધન કાર્યમાં ચોકસાઈ અને ઝડપ આવશે. 'શોધચક્ર' પોર્ટલ PhD સંશોધનકર્તા વિદ્યાર્થીઓ અને તેમના સુપરવાઈઝરોને એક ડિજિટલ માધ્યમથી જોડશે. અત્યાર સુધી PhD સંશોધન માટેની RDC (Research Degree Committee) અને અન્ય પ્રક્રિયાઓ ભૌતિક રીતે કરવામાં આવતી હતી, પરંતુ હવે આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ તમામ કાર્યવાહી ઓનલાઈન પૂર્ણ કરી શકાશે. આ નવી વ્યવસ્થાથી સમગ્ર સંશોધન પ્રક્રિયામાં પારદર્શિતા વધશે અને ડુપ્લિકેશન થવાની શક્યતાઓ પણ ઘટશે. આ પોર્ટલના માધ્યમથી વિદ્યાર્થીઓને પેપર પબ્લિશ કરવા માટે કયા પ્રકારના જર્નલ્સ ઉપલબ્ધ છે તેની માર્ગદર્શિકા પણ પ્રાપ્ત થશે. આ ઉપરાંત, 'વન નેશન, વન સબ્સ્ક્રિપ્શન' યોજના અંતર્ગત સંશોધન સામગ્રીનું સીધું એક્સેસ પણ વિદ્યાર્થીઓને મળી રહેશે. વિદ્યાર્થીઓ પોતાના થીસીસ અપલોડ કરવા માટે અગાઉની પ્રક્રિયાને બદલે હવે સીધા જ 'શોધગંગા' પ્લેટફોર્મ પર થીસીસ અપલોડ કરી શકશે. આમ, 'શોધચક્ર' પોર્ટલ વિદ્યાર્થી અને સુપરવાઈઝર વચ્ચે મજબૂત કડી તરીકે કામ કરશે, જેના પરિણામે ભવિષ્યમાં સંશોધન કાર્ય વધુ ઝડપી અને ગુણવત્તાયુક્ત બનશે.
ભાવનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા આજરોજ કોંગ્રેસ અધ્યક્ષના સમર્થનમાં ભાજપ કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન અને રેલીનું આયોજન યોજવામાં આવ્યું હતું, પરંતુ પોલીસે આ કાર્યક્રમને નિષ્ફળ બનાવી 100થી વધુ કોંગ્રેસના હોદ્દેદારોની અટકાયત કરી છે. ED ભાજપના ઈશારે કામ કરતી હોવાનો ગંભીર આક્ષેપરાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તથા સોનિયા ગાંધી વિરુદ્ધ યંગ ઇન્ડિયા અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને ઈડી દ્વારા જે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીને લઈને કોર્ટે ઈડીની ઝાટકણી કાઢી સમગ્ર કાર્યવાહી ઈડીના ઉપલક્ષમાં ન આવતી હોવાનું જણાવ્યું હતું. ઈડી ભાજપ સમર્થનમાં અને ભાજપના ઈશારે કામ કરતી હોવાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો છે. ત્યારે ન્યાયતંત્ર દ્વારા કોંગ્રેસના સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધીના હિતમાં નિર્ણય જાહેર કરતા આ બાબતને લઈને ભાજપનો વિરોધ સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ભાજપ કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન સહિતના કાર્યક્રમનું આયોજનઆજરોજ ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા પિલગાર્ડનથી ભાજપ કાર્યલય સુધી રેલી અને ભાજપ કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ વિરોધ કરવા જઈ રહેલ કોંગ્રેસના પ્રમુખ સહિતના હોદ્દેદારો અને કાર્યકરોની પોલીસે રસ્તામાંથી જ અટકાયત કરી હતી અને સમગ્ર કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યો છે. કાર્યક્રમ યોજવા જઈ રહેલ 100થી વધુ કોંગ્રેસના હોદ્દેદારોની ધરપકડ કરવામાં આવ્યા હતા. 'સરકાર પોતાના લાભ માટે તાનાશાહીનો ઉપયોગ કરે છે'આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ મનોહરસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આજે સમગ્ર દેશે જોયું નરેન્દ્ર મોદીએ યંગ ઇન્ડિયા કેસમાં કોંગ્રેસ પક્ષના મુખ્ય નેતા સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ ચલાવ્યો હતો, એ કેસમાં આજે ન્યાયપાલિકાએ ઈડીને ફટકાર લગાવી અને ઇડીને કહ્યું કે, આ તમારા અધિકાર ક્ષેત્રમાં જ નથી અને આખી FIR રદ કરી. એટલે આ મોદી સરકાર પોતાના લાભ માટે કેટલા તાનાશાહીનો ઉપયોગ કરે છે તે આજે સમગ્ર દેશની જનતાએ જોયું. જેના વિરોધમાં આજે ભાવનગર કોંગ્રેસ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય સુધી માર્ચ કરવામાં આવી અને સત્યમેવ જયતેના નારા સાથે માર્ચ કરવામાં આવી. પ્રદર્શન કરનાર કાર્યકરોના 100થી વધુની અટકાયતભારતની જનતા તેમજ ભાવનગરની જનતાને પણ આજે ખ્યાલ આવી ગયો કે મોદી સરકારના ઇરાદા કેવા છે, પોતાના સ્વાર્થ માટે જે સ્વતંત્ર સંસ્થાઓ છે એનો પણ દૂર ઉપયોગ કરીને ખોટા કેસ કરે છે એવું આજે સાબિત થયું. આખરે ન્યાયપાલિકામાં કોંગ્રેસની જીત થઈ છે. આજે ભાવનગર પોલીસ દ્વારા અમે લોકશાહી ઢબે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા એ પણ ભાજપ સરકારને મંજૂર ન હોય એમ આજે કોંગ્રેસના સૌથી વધુ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે.
દિલ્હીમાં પ્રદૂષણની સાથે શહેરના મોટાભાગના વિસ્તારો ઝેરી ધુમ્મસની ઝપેટમાં છે. જેના કારણે ગાઢ ધુમ્મસથી અમદાવાદ એરપોર્ટ પરની અનેક ફ્લાઈટ કેન્સલ અને ડીલે થઈ હતી. દિલ્હીના કારણે અમદાવાદ એરપોર્ટ પર આજે સવારથી ઘણી ફ્લાઈટ્સ રદ થઈ ગઈ છે. ઘણી કલાકો મોડી ચાલી રહી છે. એર ઇન્ડિયા, ઇન્ડિગો અને સ્પાઇસજેટ જેવી ઘણી એરલાઇન્સની અનેક ફ્લાઈટ કેન્સલ અને ડીલે થઈ છે. 7 ફ્લાઇટ્સ રદ, અને 15 ફ્લાઇટ ડિલેદિલ્હીમાં ઓછી વિઝિબિલિટીને કારણે કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ધુમ્મસને કારણે એરપોર્ટ પર વિઝિબિલિટી 100 મીટરથી પણ ઓછી રહી ગઈ હતી. આને કારણે આજે અમદાવાદ એરપોર્ટ પરની કુલ 7 ફ્લાઇટ્સ રદ કરવી પડી અને 15 ફ્લાઇટ મોડી પડી. અમદાવાદ આવતી કેન્સલ ફ્લાઇટ: અમદાવાદથી જતી કેન્સલ ફ્લાઇટ: અમદાવાદ આવતી ડીલે ફ્લાઇટ: અમદાવાદથી જતી ડીલે ફ્લાઇટ:
ચાંગા સ્થિત ચારુસેટ હોસ્પિટલમાં તાજેતરમાં અદ્યતન AI આધારિત થ્રી-ડી લાઈવ નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ કરીને દર્દીની હિપ રિપ્લેસમેન્ટ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. કેનેડાની 'ઇન્ટેલી જોઈન્ટ સિસ્ટમ' નામની આ રોબોટિક ટેકનિકથી થયેલી આ સર્જરી ગુજરાતમાં બીજી અને ચરોતર પ્રદેશમાં પ્રથમ છે. મહેળાવના 47 વર્ષીય એક દર્દી છેલ્લા 4-5 વર્ષથી જમણા થાપાના દુખાવાથી પીડાતા હતા. તેમનો એક પગ ટૂંકો થઈ ગયો હતો અને તેઓ અડધો કિલોમીટર પણ ચાલી શકતા ન હતા. ચારુસેટ હોસ્પિટલમાં આ AI ટેકનિકથી સર્જરી કરાયા બાદ તેમના બંને પગનું સ્તર સરખું થઈ ગયું હતું. સર્જરીના બીજા જ દિવસથી દર્દી દુખાવા વગર ચાલતા થયા હતા. આ સર્જરી કરનાર ઓર્થોપેડિક સર્જન અને સુપ્રિન્ટેન્ડન્ટ ડો. સમીર બાબરીયાએ સિસ્ટમ વિશે માહિતી આપતા જણાવ્યું કે, આ પદ્ધતિમાં દર્દીના સર્જરીના ભાગ પર કેમેરા ફીટ કરવામાં આવે છે. તેનાથી સર્જરી દરમિયાન ઓછા મેનપાવર અને ઓછા ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડે છે, જે દર્દી અને સર્જન બંને માટે ફાયદાકારક છે. આ પદ્ધતિથી દર્દીને ઓછો દુખાવો થાય છે અને સાંધાનું આયુષ્ય વધે છે. ભારતમાં આ સિસ્ટમનો ઉપયોગ બહુ ઓછો થાય છે. ડો. સંજય ચૌહાણ અને ઓ.ટી. ટીમે આ સર્જરીમાં મદદ કરી હતી. હિપ રિપ્લેસમેન્ટ માટે આ સિસ્ટમનો પ્રયોગ કરનાર ચારુસેટ હોસ્પિટલ ગુજરાતમાં દ્વિતીય અને ભારતમાં 15મી હોસ્પિટલ બની છે. .
રાજકોટમાં આજીનદીના કાંઠે સરકારી જમીન પર દબાણરૂપ ગેરકાયદેસર બાંધકામોને હટાવવા માટે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. ગુરુવારે મકાનો અને દુકાનો સહિત 500 પ્રીમાઇસીસને હટાવવા માટે નોટિસ અપાઈ હતી. આજે વધુ 400 દબાણકારોને કલમ 61 પ્રાથમિક નોટિસ આપવામાં આવી છે કોર્પોરેશન દ્વારા સરકારને ફાળવેલા પ્લોટ ઉપર દબાણ થઈ ગયાનું તંત્રને વહીવટી તંત્રને મોડે મોડેથી ધ્યાનમાં આવ્યું છે. હવે અહીંના 900 દબાણકારોને પ્રાથમિક નોટીસ બાદ આગામી 29 થી 31મી ડિસેમ્બર સુધી તેઓને રૂબરૂ સાંભળવામાં આવશે જેમાં તેઓ પોતાના મકાન કે દુકાનના ચોક્કસ આધાર પુરાવા રજૂ નહીં કરી શકે તો કલમ 202 હેઠળ નોટિસ આપી તેઓનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવશે. શુક્રવારે વધુ 400 દબાણકારોને નોટિસ આપવામાં આવીરાજકોટ પૂર્વ મામલતદાર નિલેશ અજમેરાએ જણાવ્યુ હતુ કે, શહેરના આજી નદીના કાંઠે જંગલેશ્વર વિસ્તારમાં ટીપી સ્કીમ નં.6માં આશરે 80,000 ચો.મી. જમીન ઉપર ગેરકાયદેસર 900 દબાણો ખડકાઈ ગયા છે. જેમા કોમર્શીયલ અને રહેણાંકના દબાણોને હટાવવા માટે ગુરુવારથી ઝૂંબેશ શરૂ કરી હતી. જેના ભાગરૂપે ગુરુવારે 500 બાદ શુક્રવારે 400 દબાણકારોને નોટિસ આપવામાં આવેલી છે. નોટિસો બાદ હવે રેવન્યુ તંત્ર દબાણકર્તાઓને સાંભળશેઅત્રે ઉલ્લેખનીય છે કે, જંગલેશ્વર વિસ્તારની આ કરોડો રૂપિયાની સરકારી જમીન ઉપર વર્ષોથી ગેરકાયદેસર દબાણો ખડકાયા છે પરંતુ, રેવન્યુ તંત્રના ધ્યાને હવે આ બાબત આવતા તંત્રએ આળસ મરડી છે. આજથી જંગલેશ્વરમાં 900 દબાણકર્તાઓને નોટિસો ફટકારી હતી. જંગલેશ્વર સંવેદનશીલ વિસ્તાર હોય અત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રેવન્યુ તંત્રની ટીમોએ નોટીસોની બજવણી કરી હતી. કલમ-61 હેઠળ અપાયેલી આ નોટિસો બાદ હવે રેવન્યુ તંત્ર દબાણકર્તાઓને સાંભળશે. જે પછી તેઓ યોગ્ય આધાર પુરાવા રજૂ નહીં કરી શકે તો કલમ-202 હેઠળ નોટિસ આપવામાં આવશે અને ત્યારબાદ દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી થશે.
બેચરાજીના કાલરી ગામે રહેતા યુવકે પોતાના જ ગામમાં રહેતા એક વ્યક્તિને હાથ ઉછીના રૂપિયા આપ્યા હતા. યુવક પૈસાની ઉઘરાણી કરવા તેઓના ઘરે ગયો એ દરમિયાન ચાર યુવકોએ ઉઘરાણી કરવા ગયેલા યુવક ને ગાળો બોલી ગડદા પાટુંનો માર માર્યો હતો. તેમજ હવે પછી આ બાજુ આવીશ તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા યુવકે બેચરાજી પોલીસ મથકમાં માર મારનાર ચાર ઈસમો સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે. પૈસાની ઉઘરાણી કરવા ઘરે ગયો ને માર માર્યોબેચરાજી તાલુકાના કાલરી ગામે ગઢવાસમાં રહેતા જાડેજા જીતેન્દ્ર સિંહે બેચરાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગામમાં રહેતા વાઘેલાબા ભવાનજીના ઘરે હાથ ઉછીના રૂપિયા આપ્યા હતા જે રૂપિયા પરત લેવા ફરિયાદી ગયો હતો.એ દરમિયાન વિલાસબા ના ઘરે મહેમાન આવેલા હોવાથી ફરિયાદી ત્યાંથી ચાલ્યો ગયો હતો. તારે અહીંયા આવવાનું નહિ, યુવકને ગાળો બોલીબાદમાં ફરિયાદી સાંજે ફરી પૈસા માગવા ગયો એ દરમિયાન સોલંકી રઘુવીર સિંહ કીર્તિ સિંહ,સોલંકી મયુરસિંહ કીર્તિસિંહ,સોલંકી કુલદીપ સિંહ વિક્રમસિંહ,સોલંકી દેવેન્દ્ર સિંહ વિક્રમસિંહ પોતાના હાથમાં ધારીયા,લોખડની સાંકળ,લાકડી લઈ આવી યુવક ને કહ્યું કે, તારા આંટા ફેરા કેમ કરે છે તારે અહીંયા આવવાનું નહિ. એમ કહી ફરિયાદી યુવકને ગાળો બોલી હતી. સાંકળ અને લાકડી વડે માર માર્યોત્યારબાદ સોલંકી રઘુવીર સિંહે પોતાના પાસે રહેલ ધારીયું ફરિયાદી ને મારવા જતા કપાળે ધારીયું વાગ્યું હતું.ત્યારબાદ મયુરસિંહ, કુલદીપ સિંહ થતા દેવેન્દ્ર સિંહે ફરિયાદી યુવક ને કડા થતા સાંકળ અને લાકડી વડે માર માર્યો હતો.યુવકે બૂમાબૂમ કરતા તે ફરાર થઇ ગયા હતા અને મારી નાખવાની ધમકીઓ આપી હતી. ફરિયાદ નોંધાઈસમગ્ર ઘટનામાં ઇઈજા પામેલા યુવકને ગાડી મારફતે સારવાર માટે બેચરાજી સિવિલ ખસેડવામાં આવ્યા હતા.યુવકે હાલમાં માર મારનાર સોલંકી રઘુવીર સિંહ કીર્તિ સિંહ,સોલંકી મયુરસિંહ કીર્તિસિંહ,સોલંકી કુલદીપ સિંહ વિક્રમસિંહ,સોલંકી દેવેન્દ્ર સિંહ વિક્રમસિંહ વિરુદ્ધ બેચરાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આગામી રાજકીય વ્યૂહરચના અને સંગઠન શક્તિને વેગ આપવા માટે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે 19મી ડિસેમ્બરના રોજ એક મહત્વપૂર્ણ વિસ્તૃત કારોબારી બેઠક યોજાવા જઈ રહી છે. સેક્ટર-12 સ્થિત સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ વાડી ખાતે યોજાનારી આ બેઠકમાં પ્રદેશના દિગ્ગજ નેતાઓ માર્ગદર્શન આપશે. અમિત ચાવડાની અધ્યક્ષતામાં બેઠકગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં ઉત્તર ઝોનના સહ-પ્રભારી શ્રીમતી સુભાષિની યાદવ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત જિલ્લા પ્રભારી અને ધારાસભ્ય શૈલેષ પરમાર તેમજ પંકજ પટેલ પણ કાર્યકરોને આગામી કાર્યક્રમો અંગે રણનીતિ સમજાવશે. સંગઠનને પાયાના સ્તરે મજબૂત કરવા માટે ચર્ચા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, આ બેઠકમાં જિલ્લાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, પૂર્વ પ્રમુખો, વોર્ડ પ્રમુખો સહિત યુથ કોંગ્રેસ, NSUI, મહિલા કોંગ્રેસ અને સેવાદળના તમામ હોદ્દેદારોને આમંત્રણ આપવામાં આવ્યું છે. બપોરે 1થી 4 દરમિયાન ચાલનારી આ બેઠકમાં સંગઠનને પાયાના સ્તરે મજબૂત કરવા માટે ચર્ચા કરવામાં આવશે. આગામી ચૂંટણીઓની તૈયારીના ભાગરૂપે બેઠકોનો દોરગાંધીનગરમાં આજે યોજાનારી કોંગ્રેસની બેઠક માત્ર ઔપચારિક નહીં પણ આગામી ચૂંટણીઓની તૈયારીના ભાગરૂપે જોવામાં આવી રહી છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની હાજરી સૂચવે છે કે હાઈકમાન્ડ હવે પાયાના કાર્યકરો સાથે સીધો સંવાદ સ્થાપવા માંગે છે. જિલ્લાના તમામ સેલ અને ડિપાર્ટમેન્ટના ચેરમેનોને બોલાવીને સંગઠનમાં રહેલી ખામીઓ દૂર કરવા અને જનતાના પ્રશ્નોને વધુ પ્રખરતાથી ઉઠાવવા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવશે.
સુરત ભીમરાડ-અલથાણ વિસ્તારમાં આવેલી શિવ રેસિડેન્સીના સેંકડો પરિવારો માટે આખરે રાહતના સમાચાર આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી બિલ્ડરની બેદરકારીને કારણે બેઘર બનેલા લોકો આવતીકાલે શનિવાર સવારથી પોતાના 'સપનાના ઘરમાં' પુનઃ પ્રવેશ કરી શકશે. મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલના કડક આદેશ બાદ યુદ્ધના ધોરણે પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે છે. શું હતો સમગ્ર મામલો?શિવ રેસિડેન્સીની બાજુમાં ચાલી રહેલા નવા પ્રોજેક્ટના ડેવલોપર દ્વારા કરવામાં આવેલા ઊંડા ખોદકામને કારણે સોસાયટીની પ્રોટેક્શન વોલ અને પાર્કિંગનો શેડ ધરાશાયી થયો હતો. સુરક્ષાના કારણોસર તંત્ર દ્વારા ચાર ટાવર તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા હતા, જેના કારણે અંદાજે 400 પરિવારો રાતોરાત નિરાધાર બન્યા હતા. લોકો પોતાની જીવનભરની મૂડી સમાન ઘર છોડીને હોટલો અથવા સંબંધીઓને ત્યાં રહેવા મજબૂર બન્યા હતા. કોંક્રિટની દીવાલ બનાવા દિવસ રાત કામગીરી પરિસ્થિતિની ગંભીરતા જોતા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે આખી રાત કામગીરી ચાલુ રાખવાના આદેશ આપ્યા હતા. આ કામગીરી માટે સુરત મહાનગરપાલિકાની મશીનરીનો પણ મોટા પાયે ઉપયોગ કરવામાં આવ્યો છે. મનપાના ત્રણ ટોચના એન્જિનિયરોને આખી રાત ઘટનાસ્થળે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા. માટીના પુરાણ બાદ મજબૂત કોંક્રિટની દીવાલ બનાવવામાં આવી છે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટના ન સર્જાય.સમગ્ર કામગીરીનું ટેકનિકલ નિરીક્ષણ SVNIT ના નિષ્ણાત અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનર પોતે દર બે કલાકે પ્રગતિનો અહેવાલ મેળવી રહ્યા છે. રહીશોમાં આનંદનો માહોલછેલ્લા ત્રણ દિવસથી અનિશ્ચિતતા અને ભયમાં જીવતા શિવ રેસિડેન્સીના લોકો માટે શનિવારની સવાર નવી આશા લઈને આવશે. હોટલમાં રહેવાની હાડમારી અને ઘરની ચિંતા હવે દૂર થશે. જોકે, સ્થાનિકોમાં હજુ પણ જવાબદાર ડેવલોપર સામે રોષ જોવા મળી રહ્યો છે અને તેમની સામે કડક કાર્યવાહીની માંગણી ચાલુ છે. આ પણ વાંચો80 લાખના ઘર માલિકોને જમવા-રહેવાના પણ ફાંફા:નવા ફ્લેટના બાંધકામથી સુરતની શિવ રેસિડન્સીના 400 રહીશો ભટકવા મજબૂર, SMCની બે અધિકારીને શો-કોઝ નોટિસજે દીવાલોએ 15 વર્ષ સુધી એક પરિવારને હૂંફ આપી, જે આંગણામાં બાળકો મોટા થયા અને જે મકાન ખરીદવા માટે મધ્યમવર્ગીય પરિવારોએ પોતાની આખી જિંદગીની મૂડી લગાવી દીધી, તે જ મકાન આજે તેમના માટે ‘જોખમી’ બની ગયા છે. સુરતના ભીમરાડ વિસ્તારમાં આવેલી શિવ રેસિડેન્સીના રહીશો માટે આજે સમય જાણે થંભી ગયો. બાજુમાં ચાલી રહેલા ‘બ્રાઈટસ્ટોન પ્રોજેક્ટ’ રાજલક્ષ્મી બિલ્ડરના ખોદાણને કારણે 17 ડિસેમ્બરે સર્જાયેલી દુર્ઘટનાના બીજા દિવસે પણ અહીં રુદન અને આક્રોશનો માહોલ. (વાંચો સંપૂર્ણ સમાચાર)
હિંમતનગરમાં ખેડ તસિયા અને ઇડર સ્ટેટ હાઇવેને જોડતા હાથમતી વિયર પર નિર્માણાધીન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણતાના આરે છે. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ આ ઓવરબ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. આ 22 કરોડના ખર્ચે બની રહેલા ઓવરબ્રિજનું આગામી વર્ષ 2026ના જાન્યુઆરી માસમાં લોકાર્પણ થઈ શકે છે. આ ઓવરબ્રિજ 210 મીટર લાંબો અને ફૂટપાથ સાથે 16 મીટર પહોળો છે. તેનાથી શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટશે. હાલમાં બંને તરફના એપ્રોચ રોડનું કામ ચાલી રહ્યું છે, જેમાં હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે અન્ડરપાસ તરફ અને ખેડ તસિયા તરફના એપ્રોચ રોડના છેડે કામ પ્રગતિમાં છે. ઓવરબ્રિજ પર ફૂટપાથની પેરાફીટ અને વીજ પોલના વાયરિંગની પ્રક્રિયા પણ ચાલી રહી છે. હિંમતનગર RB સ્ટેટના આસી. એન્જિનિયર નિર્મલભાઈ ચૌધરીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ઓવરબ્રિજનું 97 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને કામગીરી અંતિમ તબક્કામાં છે. ડિસેમ્બર માસમાં કામગીરી પૂર્ણ થઈ જશે અને વર્ષ 2026ના જાન્યુઆરીમાં ઓવરબ્રિજનું સંપૂર્ણપણે લોકાર્પણ થઈ શકે છે. આ ઉપરાંત, હિંમતનગરના ધાણધામાં ઈડર હાઇવેથી દિવ્યચેતના ફેક્ટરી સુધીના નવીન RCC રોડને પણ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. 15 ફૂટ પહોળા અને 130 મીટર લાંબા આ રોડનું નિર્માણ આશરે 4.30 લાખના ખર્ચે થયું છે, જેનું લોકાર્પણ ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા ભાજપના પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, માર્કેટ યાર્ડના પૂર્વ વાઇસ ચેરમેન રાજુભાઈ પંચાલ, તાલુકા પંચાયત સદસ્ય રવિન્દ્રસિંહ ચાવડા, મુકેશભાઈ પટેલ, સદસ્ય મુદ્દસરભાઈ વિજાપુરા સહિતના આગેવાનો, કાર્યકરો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.
સાબરકાંઠા બાર એસોસિએશન ચૂંટણી:4 પદ માટે મતદાન શરૂ, 8 ઉમેદવારો મેદાનમાં
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આજે સવારથી જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ સહિત ચાર પદ માટે મતદાન શરૂ થયું છે. આઠ ઉમેદવારો વચ્ચે યોજાઈ રહેલી આ ચૂંટણીમાં બપોર સુધીમાં 50 ટકાથી વધુ મતદાન નોંધાયું છે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી અધિકારી આઈ.એ. કોવડીયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ સાબરકાંઠા જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, ખજાનચી અને લાઈબ્રેરી સેક્રેટરીના પદ માટે ચૂંટણી યોજાઈ રહી છે. કુલ આઠ ઉમેદવારો મેદાનમાં છે, જેમાં એક મહિલા ઉમેદવારનો પણ સમાવેશ થાય છે. આ ચૂંટણીમાં કુલ 636 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. શુક્રવારે સવારે 8:30 કલાકથી તાલુકા પંચાયતના સભાખંડમાં એક મતદાન મથક પર મતદાન શરૂ થયું હતું. પ્રથમ ચાર કલાકમાં અંદાજે 358 મતદારોએ મતદાન કર્યું હતું. સાંજે 4:00 કલાકે મતદાન પૂર્ણ થશે, ત્યારબાદ સાંજે 5:00 કલાકે તાલુકા પંચાયતના સભાખંડ ખાતે જ મતગણતરી શરૂ થશે અને રાત્રિ સુધીમાં પરિણામ જાહેર કરવામાં આવશે.
પાટણ જિલ્લાના રણુંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હરિદ્વાર ફ્રી સેવા ના નામે લોકો સાથે છેતરપિંડી કરવાના ગુનામાં સંડોવાયેલ ફરાર આરોપી લાલાભાઇ ઉર્ફે ચેતનકુમાર ઉર્ફે કેતનકુમાર અશોકકુમાર લખવારાને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી પંજાબથી વિસનગર આવતો હોવાની બાતમી મળતા પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તેની ધરપકડ કરી છે. આરોપીની મોડસ ઓપરેન્ડી મુજબ, તે લોકો પાસેથી પ્રવાસના નામે પૈસા ઉઘરાવી, લક્ઝરી બસ આવવાની ખોટી વાતો કરતો હતો. પ્રવાસની તારીખે તે પોતાનો ફોન બંધ કરી ફરાર થઈ જતો હતો. તે ધાર્મિક કથા સાંભળવા અને મફત સેવાની લાલચ આપી લોકો પાસેથી ફી પેટે નાણાં પડાવતો હતો અને અલગ-અલગ સીમકાર્ડ તથા નામ ધારણ કરી નાસતો ફરતો હતો. લાલાભાઇ ઉર્ફે ચેતનકુમાર અશોકકુમાર લખવારા (રહે. પીલવાઇ, તા. વિજાપુર, જી. મહેસાણા) વિરુદ્ધ રણુંજ પોલીસ સ્ટેશનમાં BNNS ની કલમ 316(2) અને 318(4) મુજબ ગુનો નોંધાયેલ હતો. પોલીસની સ્પેશિયલ ટીમે વોચ ગોઠવી તેને વિસનગર ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ છે. તેના વિરુદ્ધ અગાઉ વસઇ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023 માં ઈ.પી.કો. કલમ 406, 420, 120(બી) મુજબ તથા જાદર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025 માં BNNS કલમ 318(3) મુજબ છેતરપિંડીના ગુના નોંધાયેલા છે.
નવસારીમાં પૂર્ણા નદી પર નવા પૂલના નિર્માણ માટે જમીન સંપાદન પ્રક્રિયા તેજ બની છે. આ પ્રોજેક્ટમાં પારસી સમાજની 500 વર્ષ જૂની પવિત્ર ડુંગરવાડી (સ્મશાન ભૂમિ)ની જમીન કપાતમાં આવતા સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે મોટી સંખ્યામાં પારસી અગ્રણીઓ અને સ્થાનિકોએ એકત્રિત થઈ તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો. પારસી સમાજનું કહેવું છે કે, ડુંગરવાડી તેમની 500 વર્ષ જૂની ધરોહર છે. અગાઉ છ વર્ષ પહેલા પણ રસ્તો પહોળો કરવા માટે સ્વેચ્છાએ જમીન આપવામાં આવી હતી અને રૂપિયા 35 લાખના ખર્ચે નવી પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી હતી. હવે ફરીથી રોડ માટે જમીન માંગવી યોગ્ય નથી. નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝના વાઇસ ચેરમેન કેરસી દેબુએ આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, અમારી પવિત્ર જગ્યા પર હવે અતિક્રમણ સહન કરવામાં આવશે નહીં. તંત્ર 'નીચી બોરડી જોઈને ઝૂડવાનું બંધ કરે. તેમણે ઉમેર્યું કે, હાલનો 18 મીટરનો રસ્તો નવા પૂલ માટે પૂરતો છે, ત્યારે વધારાની જમીન સંપાદિત કરવાની જરૂર નથી. કેરસી દેબુએ વધુમાં સ્પષ્ટતા કરી કે, ડુંગરવાડીની અંદર 200 વર્ષ જૂની ઇમારતો અને ધાર્મિક સ્થાનો આવેલા છે, જેની બિલકુલ અડોઅડ હવે દીવાલ આવી ગઈ છે. આવી સ્થિતિમાં વધુ જગ્યા આપવી શક્ય નથી. આ મામલે નવસારીના પ્રાંત અધિકારી જનમ ઠાકોરે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, પૂર્ણા નદી પર જૂના પુલના સ્થાને નવો પૂલ બનાવવા માટે 3 નવેમ્બરના રોજ કલમ 3A હેઠળ પ્રાથમિક અધિસૂચના બહાર પાડવામાં આવી હતી. આજે નિયમ મુજબ સંયુક્ત માપણી સર્વેક્ષણ (JMS) માટે ટીમ મોકલવામાં આવી હતી, જેમાં RB નેશનલ હાઈવે ડિવિઝન અને DILRના સર્વેયર દ્વારા માપણી હાથ ધરાઈ હતી. પારસી સમાજના ટ્રસ્ટીઓને આવતીકાલે સાંજે 5:00 વાગ્યે કચેરીમાં ચર્ચા માટે બોલાવવામાં આવ્યા છે. પ્રાંત અધિકારીએ ઉમેર્યું કે, એલાઇનમેન્ટ અથવા ડિઝાઇનમાં ફેરફાર કરવાની સત્તા નેશનલ હાઈવે ઓથોરિટી અને કન્સલ્ટન્ટ પાસે છે. શું છે પારસી સમાજની માંગ?પારસી સમાજનું કહેવું છે કે, અગાઉ હોસ્પિટલ અને સ્કૂલ માટે જમીન આપતી વખતે તેમણે કોઈ વિરોધ કર્યો નહોતો, પરંતુ આ તેમની અત્યંત પવિત્ર જગ્યા છે જ્યાં ધાર્મિક વિધિઓ થાય છે. અગિયારી અને અન્ય માળખાઓને નુકસાન ન પહોંચે તે માટે તેઓ કોઈ પણ ભોગે જમીન આપવા તૈયાર નથી. હવે જોવાનું એ રહેશે કે આવતીકાલની બેઠકમાં વહીવટી તંત્ર અને પારસી સમાજ વચ્ચે શું સમાધાન આવે છે અથવા નેશનલ હાઈવે ઓથોરિટી ડિઝાઇનમાં કોઈ ફેરફાર કરે છે કે કેમ.
'વિકસિત ભારત 2047' અને 'આત્મનિર્ભર ભારત'ના સંકલ્પને સાકાર કરવાના ભાગરૂપે જૂનાગઢમાં ભવ્ય 'સશક્ત નારી મેળા'નું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના સરદાર બાગ પાસે, ઝાંસીની રાણી સર્કલ સામે આવેલી હવેલી વાડી ખાતે આ ત્રણ દિવસીય મેળાને રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તથા જિલ્લાના પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજિત આ મેળામાં કુલ 100 જેટલા સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા છે. અહીં જૂનાગઢવાસીઓને એક જ સ્થળેથી હાથસાળ, હસ્તકલા,ગૃહ સુશોભન, પંચગવ્ય, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો, રેઝિંગ આર્ટ અને બેકરી પ્રોડક્ટ જેવી અવનવી ચીજવસ્તુઓ ખરીદવાની સુવર્ણ તક મળી રહી છે. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓની ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવાનો અને સ્વદેશી વસ્તુઓના વપરાશને વધારવાનો છે. આ પ્રસંગે પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે દેશની નારી સશક્ત બને તે માટે સમગ્ર રાજ્યમાં આ મેળાનું આયોજન કરાયું છે. જૂનાગઢમાં વહીવટી તંત્રએ વિશેષ પ્રયોગ કરી એવી મહિલાઓને પણ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે જેઓ પોતાના કૌશલ્યથી સ્વતંત્ર ઉત્પાદનો કરી રોજગારી મેળવે છે. આત્મનિર્ભરતાનો માર્ગ સ્વદેશી છે અને આ મેળામાં સહભાગી થયેલા તમામ મહિલા સંગઠનો અને સ્વ-સહાય જૂથો અભિનંદનને પાત્ર છે. મેળામાં માત્ર વેચાણ જ નહીં પરંતુ કૃષિ, સહકાર, કુટીર, વન વિભાગ અને મહિલા તથા બાળ વિકાસ વિભાગની જનકલ્યાણકારી યોજનાઓની જાણકારી આપતા નિદર્શનો પણ રાખવામાં આવ્યા છે. કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રે સફળતા મેળવનાર પ્રગતિશીલ મહિલાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ જાતે સ્ટોલ્સની મુલાકાત લઈ બહેનોના ઉત્સાહમાં વધારો કર્યો હતો.જૂનાગઢના નાગરિકો માટે આ મેળો સ્થાનિક કારીગરોને ટેકો આપવા અને શ્રેષ્ઠ સ્વદેશી વસ્તુઓ ખરીદવા માટેનું ઉત્તમ સ્થળ બની રહ્યું છે.
આણંદ જિલ્લામાં GVK EMRI દ્વારા સંચાલિત ફરતા પશુ દવાખાનાઓએ પશુઓમાં વાંઝિયાપણાની સમસ્યા નિવારવા માટે વિશેષ કેમ્પનું આયોજન કર્યું હતું. આ કેમ્પ જિલ્લાના પાંચ તાલુકાઓમાં કાર્યરત 7 ફરતા પશુ દવાખાના દ્વારા યોજાયા હતા, જેમાં કુલ 14 કેમ્પનો સમાવેશ થાય છે. દૂધાળા પશુઓમાં વાંઝિયાપણું એક જટિલ સમસ્યા છે, જે પશુપાલકોને આર્થિક નુકસાન પહોંચાડે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને જિલ્લા પશુપાલન વિભાગના માર્ગદર્શન હેઠળ આ કેમ્પ યોજવામાં આવ્યા હતા. વાંઝિયાપણાને કારણે પશુઓની દૂધ ઉત્પાદકતા પર સીધી અસર થાય છે. દૂધ ન આપતા પશુઓનો નિભાવ ખર્ચ વધે છે, જેનાથી પશુપાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડે છે. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય પશુઓમાં જોવા મળતી સામાન્ય સમસ્યાઓ જેવી કે વાંઝિયાપણું, કુપોષણ, મિનરલ્સનો અભાવ અને ગર્ભના અપૂરતા વિકાસને કારણે વિયાણમાં થતી મુશ્કેલીઓનો નિકાલ કરવાનો હતો. જિલ્લા પશુપાલન વિભાગ અને GVK EMRIના વેટરનરી ડોકટરોએ સાથે મળીને FIP (Fertility Improvement Program) કેમ્પનું આયોજન કર્યું હતું. આ કેમ્પ દરમિયાન GVK EMRIના ફરતા પશુ દવાખાનાની ટીમ દ્વારા 400 થી વધુ પશુઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. વેટરનરી ડોકટરો દ્વારા પશુપાલકોને યોગ્ય માર્ગદર્શન અને નિઃશુલ્ક તપાસ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. કેમ્પમાં પશુઓ વેતરમાં ન આવતા હોય (Anestrus), વેતરમાં આવતા હોવા છતાં ગાભણ ન રહેતા હોય (Repeat Breeder), પશુ ખાલી છે કે ગાભણ તેની તપાસ (Pregnancy Diagnosis), કુપોષણ, મિનરલ મિક્સરનો અભાવ, તેમજ બાહ્ય અને આંતરિક પરોપજીવીઓ જેવી સમસ્યાઓની દવા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કેમ્પના પરિણામ સ્વરૂપે, લગભગ 70 ટકાથી વધુ પશુઓ ગાભણ થયા હોવાનું જોવા મળ્યું છે. આનાથી આવનારા સમયમાં દૂધ ઉત્પાદનમાં વધારો થશે, જેનો સીધો લાભ પશુપાલક ભાઈઓને મળશે.
સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા સ્ટેટ હેલ્થ સિસ્ટમ રિસોર્સ સેન્ટર દ્વારા પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લાની પ્રથમ “સ્વસ્થ બનાસકાંઠા માટે સ્વાસ્થ્ય પરિષદ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદનો મુખ્ય હેતુ રાજ્ય માટે અગ્રતા ધરાવતા આરોગ્ય સંબંધિત મુદ્દાઓ પર વિવિધ હિતધારકો વચ્ચે ચર્ચા કરીને આરોગ્ય સમસ્યાઓના નિરાકરણ માટે ભલામણો મેળવવાનો હતો. આ સ્વાસ્થ્ય પરિષદ દરમિયાન માતૃ અને બાળ કલ્યાણ સેવાઓ, કુપોષણ, કેન્સર તથા ક્ષયરોગ જેવા આરોગ્ય વિષયો પર વધુ અસરકારક રીતે કામગીરી કરી શકાય તે અંગે તજજ્ઞો દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા. છેવાડાના વ્યક્તિ સુધી આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. લોક આગેવાનોના પ્રતિભાવો અને પ્રશ્નોના નિવારણ માટે વિષયવાર પેનલ ચર્ચાનું પણ આયોજન કરાયું હતું. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, આરોગ્ય ક્ષેત્રમાં સમયસર લેવાયેલા સૂચનો અને સુધારાઓ અનેક લોકોના જીવ બચાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. તેમણે સમાજના દરેક વર્ગ સુધી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે સરકાર, આરોગ્ય વિભાગ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને લોક આગેવાનો વચ્ચે સુમેળ અને સહયોગ અત્યંત જરૂરી હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું. કલેક્ટર પટેલે એન.જી.ઓ., સામાજિક સંસ્થાઓ તથા લોક આગેવાનોને પોતાની અનુભૂતિઓ, સ્થાનિક સ્તરની સમસ્યાઓ અને ઉપયોગી સૂચનો રજૂ કરીને આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ, લોકલક્ષી અને અસરકારક બનાવવા સક્રિય ભૂમિકા ભજવવા આહવાન કર્યું હતું. આરોગ્યલક્ષી કાર્યક્રમોની વિષયવાર ચર્ચાના અંતે અધિક નિયામક (આ.૫.) ડૉ. નયન જાની દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અંતમાં, જિલ્લા પ્રજનન અને બાળ આરોગ્ય અધિકારી, બનાસકાંઠાના ડૉ. બ્રિજેશ વ્યાસે તમામનો આભાર વ્યક્ત કરીને આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું. આ જિલ્લા સ્વાસ્થ્ય પરિષદમાં પાલનપુર ધારાસભ્ય, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સંજય સોલંકી, બનાસ મેડિકલ કોલેજ અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, રેડ ક્રોસ સોસાયટી, સદભાવના ગ્રુપ, મહિલા મંડળોના પ્રમુખઓ, વિવિધ તાલુકાઓમાંથી પધારેલા લોક આગેવાનો તથા તાલુકા આરોગ્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
IGના વાર્ષિક ઇન્સ્પેકશનનો બીજો દિવસ:પરેડ, ઇવેન્ટ નિરીક્ષણ પછી લોકદરબાર યોજાયો, રજૂઆતો લેવાઈ
સાબરકાંઠા જિલ્લામાં IG વિરેન્દ્રસિંહ યાદવના વાર્ષિક ઇન્સ્પેકશનનો બીજો દિવસ શુક્રવારે યોજાયો હતો. આ દિવસે પરેડ અને વિવિધ ઇવેન્ટ્સનું નિરીક્ષણ કરાયું હતું, ત્યારબાદ લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકદરબારમાં ટ્રાફિક, સાયબર ફ્રોડ અને સીસીટીવી સંબંધિત રજૂઆતો સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી. ગાંધીનગર રેન્જ IG વીરેન્દ્રસિંહ યાદવ વાર્ષિક ઇન્સ્પેકશન માટે ગુરુવારે બપોર બાદ સાબરકાંઠાના હિંમતનગર પહોંચ્યા હતા. તેમણે જિલ્લા પોલીસ વડા ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ સાથે બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત, એક ક્રાઈમ કોન્ફરન્સ પણ યોજવામાં આવી હતી. શુક્રવારે સવારે હિંમતનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વાર્ષિક ઇન્સ્પેકશનનો બીજો દિવસ શરૂ થયો હતો. સૌપ્રથમ સેરેમોનિયલ પરેડનું નિરીક્ષણ કરાયું અને ત્યારબાદ પરેડ માર્ચ યોજાઈ હતી. આ પછી, રાઇફલ પીટી, ખાલી હાથ પીટી, લોગ પીટી, લાઠી ડ્રીલ, વેપન ટ્રેનિંગ, કેદી પાર્ટી, મેડિસિન બોલ, ગાર્ડ માઉન્ટિંગ, યોગાસન અને કરાટે જેવી વિવિધ ઇવેન્ટ્સનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. SOG અને LCB દ્વારા ચેક પોસ્ટ, બિલ્ડિંગ ઇન્ટરવેન્શન અને મોક ડ્રીલનું પણ પ્રદર્શન કરાયું હતું. વાર્ષિક ઇન્સ્પેકશનના ભાગરૂપે IG વીરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો હતો. આ લોકદરબારમાં સાબરકાંઠા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી સ્થાનિકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા, સીસીટીવી લગાવવા અને સાયબર ફ્રોડ અંગેની રજૂઆતો કરી હતી. આ પ્રસંગે હેડ ક્વાર્ટર્સ DYSP પાયલ સોમેશ્વર, SC/ST સેલ DYSP કુલદીપ નાયી, ઇડર DYSP સ્મિત ગોહિલ, હિંમતનગર DYSP અતુલ પટેલ, SOG PI ડી.સી. પરમાર, LCB PI ડી.સી. સાકરિયા, હિંમતનગર એ ડિવિઝન PI પી.એમ. ચૌધરી, બી ડિવિઝન PI એમ.ડી. ચૌહાણ સહિત અન્ય પોલીસ સ્ટેશનના PI, PSI અને પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા.
પાટનગરમાં આજે 19મી ડિસેમ્બરના રોજ ગાંધીનગર બાર એસોસિએશનના હોદ્દેદારો વરવા માટે મતદાન યોજાઈ રહ્યું છે. આ વખતની ચૂંટણીમાં એવો માહોલ જોવા મળી રહ્યો છે જે સામાન્ય રીતે વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળતો હોય છે. કોર્ટ પરિસરની આસપાસના દ્રશ્યો બદલાઈ ગયા છે અને વકીલ ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જામી છે. ઉમેદવારોએ કામચલાઉ ચૂંટણી પ્રચાર કાર્યાલયો ઉભા કરી દીધાઆજની ચૂંટણીને પગલે કોર્ટ પરિસરની બિલકુલ સામે જ ઉમેદવારોએ પોતાના કામચલાઉ ચૂંટણી પ્રચાર કાર્યાલયો ઉભા કરી દીધા છે. ઠેર-ઠેર સમિયાણા, જાહેરાતના મોટા બોર્ડ અને હોર્ડિંગ્સથી આખું પરિસર છવાઈ ગયું છે. વકીલ આલમમાં આ પ્રકારનો ભપકાદાર પ્રચાર અને ચૂંટણીનો માહોલ પ્રથમ વખત જોવા મળી રહ્યો છે, જે ચર્ચાનો વિષય બન્યો છે. 'નાણાની કોથળીઓ' ખુલ્લી મૂકી હોવાની પણ ચર્ચાપોતાના પક્ષમાં મતદાન કરાવવા માટે ઉમેદવારોએ કોઈ કસર છોડી નથી. 1125 જેટલા મતદારોને રીઝવવા માટે છેલ્લા એક સપ્તાહથી લોબિંગ ચાલી રહ્યું હતું. મતદારોમાં આકર્ષણ જમાવવા માટે ઉમેદવારોએ 'નાણાની કોથળીઓ' ખુલ્લી મૂકી હોવાની પણ ચર્ચા છે. મતદારો માટે ચા-નાસ્તા અને ભવ્ય જમણવારના આયોજનો કરવામાં આવ્યા છે, જેમાં ઉમેદવારો દ્વારા લખલૂટ ખર્ચ કરવામાં આવ્યો છે. મુખ્ય ચૂંટણી અધિકારીની દેખરેખ હેઠળ સાંજે મતગણતરીઆજે યોજાઈ રહેલી આ ચૂંટણીમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને સહમંત્રી જેવા મહત્ત્વના પદ માટે રસાકસી છે. દરેક મતદાર દરેક હોદ્દા માટે એક-એક મત આપી શકશે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મુખ્ય ચૂંટણી અધિકારીની દેખરેખ હેઠળ આજે સાંજે જ મતગણતરી હાથ ધરવામાં આવશે. પરિણામે મોડી સાંજ સુધીમાં ગાંધીનગર બાર એસોસિએશનના નવા સુકાનીઓના નામ જાહેર થઈ જશે.
રાજ્યમાં આવેલા 278 બાર એસોસિએશનની ચૂંટણી આજે યોજાઈ રહી છે. જેમાં રાજ્યના 01 લાખ જેટલા વકીલો એસોસિએશનના હોદેદારોની ચૂંટણીમાં ભાગ લેશે. ચૂંટણીનો સમય સવારે 10થી સાંજની 05 સુધીનો છે. વકીલો મોટા પાયે પોતપોતાના રજિસ્ટર્ડ બારમાં મતદાન કરી રહ્યા છે. હોદ્દેદારોનું પરિણામ રાત સુધીમાં જાહેર થઈ જશે. અમદાવાદ મેટ્રોકોર્ટમાં 06 હજારથી વધુ મતદારોસુપ્રીમ કોર્ટના આદેશથી તમામ બાર એસોસિએશનમાં ટ્રેઝરર માટે મહિલાનું પદ અનામત રાખવામાં આવેલ છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ મેટ્રોકોર્ટમાં 06 હજારથી વધુ મતદારો છે. પ્રમુખ, ઉપ પ્રમુખ, સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી, ટ્રેઝરર, એક્ઝિક્યુટિવ કમિટિ વગેરે માટે જુદી જુદી કોર્ટોમાં મતદાન થઈ રહ્યું છે. હોદ્દેદારો સમક્ષ મતદાતા વકીલો પોતાના પ્રશ્નો રજૂ કરે છે. જેને તેઓ ઉપરના ફોરમ સમક્ષ ઉપાડે છે. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનમાં 2500 કરતાં વધુ મતદારોગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનની પણ ચૂંટણી પણ યોજાઈ રહી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનમાં 2500 કરતાં વધુ મતદારો મતદાન કરી રહ્યા છે. હાઇકોર્ટ એસોસિએશનમાં વર્તમાન હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે બ્રિજેશ ત્રિવેદી, ઉપ-પ્રમુખ તરીકે વિરાટ પોપટ અને સેક્રેટરી તરીકે હાર્દિક બ્રહ્મભટ્ટ છે. પ્રમુખ પદ માટે 05 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે 05 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જેમાં એડવોકેટ યતીન ઓઝા, બાબુ માંગુકિયા, બ્રિજેશ ત્રિવેદી, દર્શન શાહ અને ચિત્રજીત ઉપાધ્યાયનો સમાવેશ થાય છે. ઉપપ્રમુખના પદ માટે પૃથ્વીરાજસિંહ જાડેજા, પુનિત જુનેજા, અશોક પારેખ, વિરાટ પોપટ, અભિરાજ ત્રિવેદી અને નીરવ ત્રિવેદી ઉમેદવાર છે. જનરલ સેક્રેટરીના પદ માટે હાર્દિક બ્રહ્મભટ્ટ, મહેશ બારીયા, ભાવિક પંડ્યા, દેવેન્દ્ર પંડ્યા અને વિશાલ ઠક્કર ઉમેદવાર છે.
લોકોની સેવામાં તત્પર એવી સુરત શહેર પોલીસની કામગીરીને બિરદાવવા માટે દિવ્ય ભાસ્કર દ્વારા સરસાણા ખાતે આવેલા પ્લેટિનમ હોલમાં 100થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ માત્ર એક સન્માન નથી પણ આખી સુરત શહેર પોલીસની 24x7 કામગીરીને બિરદાવવાનો પ્રયાસ છે. પોલીસ પ્રાઇડ એવોર્ડ્સ-2025 સેશન-4ના મુખ્ય અતિથિ તરીકે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત રહેશે. એક વર્ષમાં શહેર પોલીસમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ કર્મચારીઓની એક સૂચિ તૈયાર કરવામાં આવી હતી, જેમાંથી શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારી-કર્મચારીઓની પસંદગી કરવામાં આવી હતી અને પોલીસ અધિકારીથી લઈને પોલીસ કોન્સ્ટેબલ સુધીનાનું સન્માન કરવામાં આવ્યું હતું. સુરત પોલીસ કમિશનર અનુપમ ગહેલોતે જણાવ્યું હતું કે, બાળકો નાના હોય છે ત્યારથી જ પોલીસ પકડી જશે તે પ્રકારનું તેમના મનમાં ડર બેસાડી દેવામાં આવ્યો હોય છે. જેને હાલ પોલીસ દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. જ્યારે પણ અમે પોલીસનો યુનિફોર્મ ઉતારીએ છીએ ત્યારે અમે સામાન્ય નાગરિક જ બની જઈએ છીએ. અમારા માટે ઓફિશિયલ ડ્યુટી એ સૌથી સર્વોપરી હોય છે. સાથે સાથે અમારી સામાજિક રિસ્પોન્સિબીલીટી પણ હોય છે. સુરત એક મીની ભારત છે અને અલગ અલગ રાજ્યો અને ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી લોકો અહીં રહી રહ્યા છે. જેના પગલે પોલીસનો પણ પડકાર વધી જતો હોય છે. પોલીસ દ્વારા ગુનેગારોને પકડવાની સાથે જ લોકોની વચ્ચે જઈને પણ કામગીરી કરવામાં આવી રહી છે. જેથી પોલીસ અંગે જે લોકો ની લાગણી છે તેમાં પણ બદલાવા આવી શકે. પોલીસ ની સામે પડવાને બદલે લોકો સપોર્ટ કરતા થાય તે પ્રકારનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સુરતમાં ચાલતા વિકાસના કામોને લઈને અલગ અલગ અડચણો પણ આવી રહી છે તેને પણ દૂર કરવાનો પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં સુરતના ખૂણે ખૂણે સીસીટીવી લાગી જાય અને તમામ પર પોલીસની નજર રહે તે પ્રકારનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.
ગોધરાના શહેરા ભાગોળ અંડરપાસનું કામ ફરી શરૂ:ત્રણ વર્ષથી અટકેલો પ્રોજેક્ટ ધમધમ્યો, સ્થાનિકોને રાહત
ગોધરાના શહેરા ભાગોળ રેલવે અંડરપાસનું કામ ત્રણ વર્ષ બાદ ફરી શરૂ થયું છે. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરાના શહેરા ભાગોળ વિસ્તારમાં રેલવે ફાટક એલ.સી. 4 પાસે નિર્માણાધીન આ અંડરપાસની કામગીરી ફરી શરૂ થતાં સ્થાનિકોને રાહત મળી છે. આ કામગીરી છેલ્લા ત્રણ વર્ષથી ધીમી ગતિએ ચાલી રહી હતી અને વચ્ચે અટકી પડી હતી. જેના કારણે ગોધરા શહેર બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. અંડરપાસના ખાડામાં ગટરના ગંદા પાણી ભરાયા હતા, જે સ્થાનિકો માટે સમસ્યા બની હતી. શહેરા ભાગોળ, સ્ટેશન રોડ અને ભુરાવાવ વિસ્તારના વેપારીઓના ધંધા-રોજગાર પર પણ તેની અસર પડી હતી. વિદ્યાર્થીઓને પણ લાંબો ફેરો ફરવો પડતો હતો. આ સમસ્યા અંગે સ્થાનિક અગ્રણીઓ અને નાગરિકો દ્વારા જિલ્લા કલેક્ટર અને સ્થાનિક ધારાસભ્યને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતો બાદ તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે. હાલમાં સ્થળ પર મશીનરી દ્વારા ભરાયેલી માટી હટાવીને બોક્સ ખુલ્લા કરવાની કામગીરી ચાલી રહી છે. જમણી બાજુના બાકી રહેલા બોક્સ બનાવવાનું કામ પણ ઝડપથી શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટમાં ફરી ગતિ આવતા સ્થાનિક રહીશો, વેપારીઓ અને વાહનચાલકોમાં સંતોષ જોવા મળ્યો છે. આ કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ખોરાક શાખા દ્વારા ખાદ્ય ચિજોનું વેચાણ કરતી દુકાનો અને ઉત્પાદક યુનિટો મળી 101 સ્થળો પર ચેકીંગ હાથ કરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમિયાન કેટલીક અખાદ્ય ચીજો મળી આવતા તેનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત વિવિધ પ્રકારના 19 ખાદ્ય ચિજોના નમૂના લેવામાં આવ્યા હતાં. જે નમુના પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતાં. અખાધ ખોરાકનો જથ્થો જપ્ત કરી તાત્કાલિક નાશ કરવામાં આવ્યોખોરાક શાખાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી કરી છે. વડોદરા શહેરના માંડવી–પાણીગેટ અને ફતેગંજ વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અખાધ ખોરાકનો જથ્થો જપ્ત કરી તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો. સાથે શહેરના વાઘોડિયા રોડ, ઉમા ચાર રસ્તા, કારેલીબાગ, ન્યૂ વી.આઈ.પી. રોડ, અમીતનગર સર્કલ, ખીસકોલી સર્કલ, ગોરવા, જી.આઈ.ડી.સી., મકરપુરા ડેપો પાછળ, છાણી સહિતના વિસ્તારોમાં આવેલ ખાદ્યપદાર્થો સાથે જોડાયેલ યુનિટોમાં કરવામાં આવી હતી. 19 નમૂનાઓ લેવામાં આવ્યાં હતાંઆ ઝુંબેશ દરમિયાન 5 રિટેલર, 1 ફૂડ વેન્ડિંગ એસ્ટાબ્લિશમેન્ટ, 2 કેટરિંગ યુનિટ અને 1 રેસ્ટોરન્ટ સહિત કુલ 9 યુનિટોની ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ચોકો ડિલાઇટ કેક, ક્લાસિક ડિલાઇટ કેક, બેસન, ચોખા, પનીર હાંડી, છોલે, બાર મિલ્ક, વેજ બિરયાની, રોટલી, ઘી, ગાયનું દૂધ, ખજુરનો હલવો, જલેબી, ડ્રાય કચોરી, ઉંધીયું, કેસરી પેંડા, સેવખમણી તથા ચોકલેટ બરફી સહિત કુલ 19 નમૂનાઓ લેવામાં આવ્યાં હતાં. હેરિટેજ વિસ્તારોમાં પણ વિશેષ ચેકિંગ કરવામાં આવ્યું હતુંઆ તમામ નમૂનાઓને પબ્લિક હેલ્થ લેબોરેટરી, ફતેગંજ ખાતે વિશ્લેષણ અર્થે મોકલી આપવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનરની સૂચના અને ડેઝિગ્નેટેડ ઓફિસર તથા અધિક આરોગ્ય અમલદાર ડો. મુકેશ વૈદ્યના માર્ગદર્શન હેઠળ શહેરના હેરિટેજ વિસ્તારોમાં પણ વિશેષ ચેકિંગ કરવામાં આવ્યું હતું. 101 યુનિટોની તપાસ કરવામાં આવી હતીઆ કામગીરી દરમ્યાન 36 હોકર, 29 રિટેલર, 16 ફૂડ વેન્ડિંગ એસ્ટાબ્લિશમેન્ટ અને 20 રેસ્ટોરન્ટ સહિત કુલ 101 યુનિટોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન માંડવી–પાણીગેટ વચ્ચે આવેલ લકી ચાઇનીઝ નામની ફૂડ વેન્ડિંગ યુનિટમાંથી 10 કિલો કલરવાળું નોનવેઝ અખાધ હોવાનું જણાતા તેનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો. તેમજ ફતેગંજ વિસ્તારમાં આવેલ ‘સુબા ઇલાઇટ’ રેસ્ટોરન્ટમાંથી 8 કિલો અખાધ માંસનો જથ્થો પણ જપ્ત કરી નષ્ટ કરવામાં આવ્યો હતો.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના ફતેગંજથી પંડ્યા બ્રિજ તરફના ફતેગંજ ફ્લાયઓવર બ્રિજ ઉપર રાઇડીગ સર્ફેસીગની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના કારણે આગામી 15 દિવસ સુધી બ્રિજ ઉપરનો એક તરફનો રસ્તો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયા બાદ વાહન વ્યવહાર શરૂ કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી બ્રિજની બાજુમાં રહેલ સર્વિસ રોડની ઉપયોગ કરવાનો રહેશે. 12 બ્રિજ પર રસ્તા રીસર્ફેસિંગની કામગીરી કરવાનું આયોજનઆ સાથે શહેરમાં હાલમાં કુલ 41 હયાત બ્રિજોમાંથી પ્રાથમિકતાના આધારે અંદાજે 12 બ્રિજ પર રસ્તા રીસર્ફેસિંગની કામગીરી કરવાનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. આ કામગીરી અંતર્ગત જરૂરિયાત મુજબ મિલિંગ, માસ્ટિક આસ્ફાલ્ટ, રી-સરફેસિંગ તેમજ રોડ ફર્નિચર સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. 8 બ્રિજ પર રીસર્ફેસિંગની કામગીરી પૂર્ણઉલ્લેખનીય છે કે, કોર્પોરેશન દ્વારા કુલ 8 બ્રિજ પર રીસર્ફેસિંગની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. હાલમાં 40 મીટર રિંગ રોડ પર આવેલા ફતેગંજ ફ્લાયઓવર બ્રિજ પર ઈ.એમ.ઈ. સર્કલથી પંડયા બ્રિજ તરફ જતા કેરેજ-વે પર અંદાજે 700 મેટ્રિક ટન હયાત સરફેસનું મિલિંગ કરી માસ્ટિક આસ્ફાલ્ટની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ જંકશન પર બોક્સ કલવર્ટ નાખવાની કામગીરીઆ ઉપરાંત વડોદરા શહે૨ના ગોલ્ડન જંકશન, આજવા જંકશન, કપુરાઈ જંકશન, વાઘોડિયા જંકશન અને તરસાલી જંકશન પર નવીન વરસાદી ગટર (Box Culvert) નાખવાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. વાઘોડિયા જંકશન રોડ 10 દિવસ બંધ રહેશેઆ કામગીરીની સરળતા તેમજ જરૂરિયાત મુજબ હાલના તબક્કે વાઘોડીયા જંકશન પર 20 ડિસેમ્બર 2025થી આગામી દિન-10 સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર તેમજ અવર-જવર માટે કામ પૂર્ણ થતાં સુધી સદર રસ્તો બંધ રહેશે. બાકીના જંકશન પર તબક્કા વાર કામગીરી હાથ ધરવામાં આવશે.
અમદાવાદ શહેરના લાલ દરવાજા વિસ્તારમાં ભદ્રકાળી મંદિર પાસે આવેલા પ્રેમાભાઈ હોલની ઉપરના છતની દીવાલનો ભાગ નમી ગયેલો જોવા મળ્યો હતો. જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આ નમી ગયેલા ભાગને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. સવારે મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને એસ્ટેટ અધિકારી રાઉન્ડમાં હતા ત્યારે નમી ગયેલો ભાગ જોવા મળ્યો હતો જેથી તાત્કાલિક ધોરણે આ ભાગને ઉતારી લેવા માટે સૂચના આપી કાર્યવાહી કરવામાં આવી હતી. પાસમાં બેરીકેટ લગાવીને ડિમોલેશન કરવામાં આવ્યું હતું. છતની પેરાફીટની દીવાલનો ભાગ નમી ગયેલો જોવા મળ્યોમળતી માહિતી મુજબ, મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ અને ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર ચિંતન એન્જિનિયર વહેલી સવારે મધ્ય ઝોનમાં રાઉન્ડમાં નીકળ્યા હતા. ભદ્રકાળી મંદિર પરિસર થઈ અને પ્રેમાભાઈ હોલ પાસેથી તેઓ પસાર થતા હતા. ત્યારે પ્રેમાભાઈ હોલના ઉપરના ભાગે આવેલી છતની પેરાફીટની દીવાલનો ભાગ નમી ગયેલો જોવા મળ્યો હતો. દીવાલનો ભાગ નમી ગયેલો હતો અને ગમે ત્યારે પડે તેવી સ્થિતિ જોવા મળી હતી. જેના પગલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા એસ્ટેટ વિભાગને તાત્કાલિક ધોરણે આ ભાગને ઉતારી લેવા માટેની સૂચના આપવામાં આવી હતી. એસ્ટેટ વિભાગે બે કલાકમાં દીવાલનો ભાગ તોડી પાડ્યોસવારના સમયે જ એસ્ટેટ વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટના મજૂરો અને માણસોને બોલાવીને દીવાલને તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા બે કલાકમાં દીવાલનો ભાગ તોડવામાં આવ્યો હતો. દીવાલનો ભાગ તોડતા પહેલા આજુબાજુના વિસ્તારમાં બેરીકેડિંગ કરવામાં આવ્યું હતું. બેરીકેડિંગ કરી અને આ ભાગને તોડી પાડવામાં આવ્યો છે. દીવાલનો ભાગ નમેલો જોવા મળ્યો હતો અને ત્યાં રોજના અનેક લોકો પસાર થાય છે. જેથી કોઈ દુર્ઘટના ન સર્જાય તેને લઈ અગમચેતીના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવી છે. હોલના સ્ટ્રકચરને લઈને રાજ્ય સરકારને જાણ કરવામાં આવશેસૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પ્રેમાભાઈ હોલ ગુજરાત સરકારની માલિકીની જમીનમાં બનાવવામાં આવેલો છે અને અગાઉ એક ટ્રસ્ટને આપવામાં આવેલો હતો. છેલ્લા અનેક વર્ષોથી આ પ્રેમાભાઈ હોલ બંધ હાલતમાં છે. દીવાલનો ભાગ નમી જતા તોડી પાડવામાં આવ્યું છે, ત્યારે આ હોલના સ્ટ્રકચરને લઈને રાજ્ય સરકારને જાણ કરવામાં આવશે. જે ભાગ નમેલો જોવા મળ્યો હતો તે અત્યારે અગમચેતીના ભાગરૂપે ઉતારી લેવામાં આવ્યો છે અને મોટી જાનહાની ટળી છે.
સમગ્ર ગુજરાતની સાથે આજે જૂનાગઢ જિલ્લામાં પણ વકીલોના પ્રતિનિધિત્વ માટે બાર એસોસિએશનની ચૂંટણીનો માહોલ જામ્યો છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સૂચના અનુસાર, 19 ડિસેમ્બર 2025 ના રોજ રાજ્યવ્યાપી ચૂંટણીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા કોર્ટ લો લાઇબ્રેરી ખાતે સવારથી જ ઉત્સાહભેર મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. વકીલોમાં આ ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કોર્ટ પરિસરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. જૂનાગઢ બાર એસોસિએશનના પ્રમુખ પદ માટે આ વખતે બે દિગ્ગજ ઉમેદવારો મેદાનમાં છે.વર્તમાન પ્રમુખ જયદેવ જોશી અને પૂર્વ હોદ્દેદાર ભાવેશ ઝિંઝુવાડીયા વચ્ચે સીધો જંગ ખેલાઈ રહ્યો છે. બંને ઉમેદવારોએ પોતાની જીત માટે આશાવાદ વ્યક્ત કર્યો છે. કુલ ૮૯૨ મતદારો આ ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને આગામી 2026 અને 2027ના વર્ષ માટે બારનું ભવિષ્ય નક્કી કરશે. ઉમેદવારોનો આશાવાદ અને કામગીરીનો દાવો ચૂંટણી મેદાનમાં રહેલા ભાવેશ ઝિંઝુવાડીયાએ જણાવ્યું હતું કે મને મતદારો પર પૂરો વિશ્વાસ છે. મેં હંમેશા જુનિયર વકીલોની સનદ, વેલફેર ફંડ અને વકીલોની નાની-મોટી સમસ્યાઓમાં અગ્રેસર રહીને કામ કર્યું છે, તેથી મને જંગી બહુમતી મળશે તેવી ખાતરી છે. વર્તમાન પ્રમુખ જયદેવ જોશીએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં આજે એકસાથે ચૂંટણી યોજાઈ રહી છે. જૂનાગઢમાં પણ વકીલો ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરવા આવ્યા છે. આ બે વર્ષની ટર્મ માટે છે અને બારનું ભલું થાય તેવા પ્રયત્નો સાથે અમે ચૂંટણી લડી રહ્યા છીએ. માત્ર પ્રમુખ પદ જ નહીં પરંતુ ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ટ્રેઝરર અને કારોબારી સભ્યો સહિતના વિવિધ હોદ્દાઓ માટે કુલ ૫૯ ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. લોકશાહીના પર્વની જેમ યોજાઈ રહેલી આ ચૂંટણીમાં આજે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે, જેમાં વિજેતા ઉમેદવારોના નામ જાહેર થશે.વકીલ આલમમાં અત્યારે એ જ ચર્ચા છે કે આગામી બે વર્ષ માટે બાર એસોસિએશનનું સુકાન કોના હાથમાં જશે..
સેવક પ્રોજેક્ટ દ્વારા ગુજરાત, તમિલનાડુ, બિહાર અને ઓડિશા જેવા રાજ્યોમાં ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વિસ્તારવા માટે 15માં સેવક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રિદિવસીય સેમિનાર 18 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર 2025 સુધી વડોદરાની ખાનગી હોટેલ ખાતે યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં વિવિધ તબીબી નિષ્ણાતો દ્વારા સેવકોને આરોગ્ય સંબંધિત તાલીમ આપવામાં આવી રહી છે, જેથી ગામડાઓમાં રોગોનું વહેલું નિદાન અને નિવારણ શક્ય બને તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 350 ગામડાઓમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને એનિમિયા જેવા રોગોનું મફત નિદાનસેવક પ્રોજેક્ટ જે વર્ષ 2010થી સફળતાપૂર્વક કાર્યરત છે, અત્યાર સુધીમાં આશરે 350 ગામડાઓમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને એનિમિયા જેવા રોગોનું મફત નિદાન કરી ચૂક્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ 4 લાખથી વધુ લોકોનું સર્વે કરવામાં આવ્યું છે. આ વર્ષના સેમિનારમાં ગુજરાતમાંથી 50 અને ઓડિશા, બિહાર તેમજ તમિલનાડુમાંથી કુલ 30 જેટલા સેવકો ભાગ લઈ રહ્યા છે. પ્રોજેક્ટના ફાઉન્ડર અને ચેરમેન ડૉ. ઠાકોરભાઈ જી. પટેલ (MD, MACP, FRCP) છેલ્લા 15 વર્ષથી દર વર્ષે ડિસેમ્બરમાં અમેરિકાથી ભારત આવીને આ પ્રોજેક્ટને એકલા હાથે સંચાલિત કરી રહ્યા છે. આ સેમિનારમાં વડોદરાના પ્રખ્યાત ત્વચારોગ નિષ્ણાત ડૉ. યોગેશ મારફતિયા, ડૉ. પ્રિતેશ પટેલ, ડૉ. યતન પોપટે મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગો વિશે તાલીમ આપી હતી. આ સાથે બરોડા મેડિકલ કોલેજના ડીન ડૉ. રંજન ઐયર અને IMA વડોદરાના પ્રેસિડેન્ટ ડૉ.મિતેષ શાહ, ડૉ. જીવરાજ ડામોર (હેડ, પ્રિવેન્શન અને સોશિયલ મેડિસિન, બરોડા મેડિકલ કોલેજ) અને ડી.સી.એસ. બૂચ પણ ઉપસ્થિત રહ્યા હતા. 300 જેટલા ગામમાં આ કાર્યક્રમ ચાલે છેઆ કાર્યક્રમ અંગે પ્રોજેક્ટના ફાઉન્ડર અને ચેરમેન ડૉ. ઠાકોર જી.પટેલે જણાવ્યું હતું કે, સેવક સેમિનારની વડોદરામાં વર્ષ 2010થી આ પ્રોજેક્ટની શરૂઆત નરેન્દ્ર મોદીની પરમિશનથી શરૂ કરી હતી. ત્યારે અમે પાયલટ પ્રોગ્રામ તરીકે ગામડાઓમાં રાખ્યો હતો. જેમાં ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દીઓ શોધ્યા હતા. આ સેવકો થકી ગામમાં રહેતા હોય તેવા જ સેવકો ગામમાં કામ કરી રહ્યા છે. હાલમાં 300 જેટલા ગામમાં આ કાર્યક્રમ ચાલે છે. હાલમાં તમિલનાડુ ,ઓરિસ્સા અને બિહારમાં આ પ્રોગ્રામ કર્યો છે અને તેનાથી લોકોને ખૂબ ફાયદો થયો છે. 200થી વધુ સેવકોનું સન્માનઆ અંગે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન બરોડાના પ્રમૂખ ડો મિતેષ શાહે જણાવ્યું હતું કે, ભારતીય સેવા સમાજ અને સેવક ફાઉન્ડેશન દ્વારા આજે આ સેવકોના સન્માન કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં વિવિધ તબીબો અહીંયા પહોંચાય છે અને 200થી વધુ સેવકો અહીંયા આવ્યા છે તેઓની સન્માન કરવું અમારું સૌભાગ્ય છે. ભારતીય સંસ્કૃતિની પરંપરાને જાળવવી હોય તો આવા સેવકો થકી કાર્ય થાય અને સન્માન કરવામાં આવે એવું મારું માનવું છે.
અમદાવાદ પાસે હાંસોલમાં રહેતા 65 વર્ષીય વ્યક્તિ સાથે સાયબર ઠગોએ 18.70 લાખની છેતરપિંડી આચરી છે. આધારકાર્ડ પરથી ઇસ્યુ થયેલા સિમકાર્ડનો ઉપયોગ ગેરકાનૂની પ્રવૃત્તિમાં થતો હોવાની ફરિયાદીને ધમકી આપવામાં આવી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકેની ખોટી ઓળખ આપી ફરિયાદીને હોમ એરેસ્ટ કરવામાં આવ્યા હતા. ગેરકાનૂની પ્રવૃત્તિઓ માટે પાસબુક અને એટીએમ કાર્ડ આપ્યું હોવાનું કહી ફરિયાદીને ડરાવવામાં આવ્યા હતા. વીડિયો કોલ પર કોર્ટની હિયરિંગ બતાવી વિશ્વાસ કેળવવામાં આવ્યો હતો. જામીન મેળવવા માટે રૂપિયા ભરવા માટે પણ કહેવામાં આવ્યું હતું. ફરિયાદીએ રૂપિયા 18.70 લાખ ભર્યા બાદ હાઇકોર્ટ ઓફ મુંબઈ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગના સિક્કવાળો બનાવટી લેટર પણ આપવામાં આવ્યો હતો. ખોટી રીતે ડિજિટલ એરેસ્ટ કરીને છેતરપિંડી આચરી હોવાનું સામે આવતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. તમારા નામના સિમકાર્ડથી ગેરકાનૂની પ્રવૃત્તિમાં ઉપયોગ થયાનું જણાવ્યુંહાંસોલમાં રહેતા 65 વર્ષીય વ્યક્તિને સપ્ટેમ્બર મહિનામાં એક વ્હોટસએપ કોલ આવ્યો હતો. વ્હોટસએપ કોલ કરનારે પોતાની ઓળખ દિલ્લી ટેલિકોમ બ્રાન્ચના અધિકારી વિજય શર્મા તરીકે આપી હતી. મુંબઈ તિલકનગરથી તમારા આધારકાર્ડથી સિમકાર્ડ રિસીવ થયું છે જેનો ગેરકાનૂની પ્રવૃતિમાં ઉપયોગ થતો હોવાનું જણાવ્યું હતું. ફરિયાદીને હોમ એરેસ્ટ કરાયાસિમકાર્ડ વિરુદ્ધમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હોવાનું પણ 65 વર્ષીય વ્યક્તિને જણાવવામાં આવ્યું હતું. સિમકાર્ડ આધારકાર્ડનો ઉપયોગ કરી ઈશ્યુ થયું હોવાનું કહી ફરિયાદીને હોમ એરેસ્ટ કરવામાં આવ્યા હતા. ફરિયાદ નોંધાઈ હોવાથી તેની તપાસ ઇન્વેસ્ટીગેશન અધિકારી એસ.કે જયસ્વાલ કરશે અને આ બાબતની કોઈ પણ જાણ ન કરવા પણ વિજય શર્માએ કહ્યું હતું. જેટ એરવેઝના માલિકને એકાઉન્ટ કમિશન પેટે આપ્યાનું કહ્યુંજે બાદ બીજા દિવસે ફરિયાદીને ફરી એક વખત વોટ્સએપ કોલ આવ્યો હતો. જેમાં કોલ કરનારે પોતાની ઓળખ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના ઇન્વેસ્ટિગેશન ઓફિસર એસ.કે.જયસ્વાલ તરીકે આપી હતી. જેટ એરવેઝના માલિક નરેશ ગોયલને બેંક એકાઉન્ટ અને સિમકાર્ડ પાંચ લાખ રૂપિયા કમિશન પેટે આપી ગરીબ લોકોના પૈસા પડાવવાના કૌભાંડમાં સામેલ હોવાથી ધમકી આપવામાં આવી હતી. નરેશ ગોયલના ત્યાં દરોડા પાડતા તેમાં નામ ખુલ્યું હોવાનું કહી ફરિયાદીને વધુ ડરાવ્યાનરેશ ગોયલના ત્યાં દરોડા પાડતા તેમાં નામ ખુલ્યું હોવાનું કહી ફરિયાદીને વધુ ડરાવવામાં આવ્યા હતા. તેમજ જો આ બાબતની અન્ય કોઈને જાણ થશે તો નરેશ ગોયલના માણસો ડિલિવરી બોય અથવા કુરિયર બોયનું રૂપ ધારણ કરી મારી નાખશે તેઓ પણ ફરિયાદીમાં ડર બેસાડવામાં આવ્યો હતો. જેથી સલામતી માટે જો ઘરની બહાર નીકળો તો એસ.કે. જયસ્વાલને વ્હોટસએપ કોલ કરીને જ નીકળવા અને ઘરના દરવાજા અંદરથી બંધ રાખવા ફરિયાદીને કહેવામાં આવ્યું છે. વીડિયો કોલમાં ખોટી કોર્ટ ઉભી કરી સુનાવણી બતાવાઈ હતીસતત અઠવાડિયા સુધી ફરિયાદી અને તેમના પત્નીને એસ.જે. જયસ્વાલ તરીકે ઓળખ આપનાર વ્યક્તિના માણસો દ્વારા ફોન કરવામાં આવતા હતા. પૂછપરછમાં સહકાર આપી રહ્યા છો તેથી સરકારી વકીલ રોકી ઓછી રકમમાં જામીન અપાવી દેવાની ફરિયાદીને લાલચ પણ આપવામાં આવી હતી. જે બાદ વીડિયો કોલ કરી ખોટી રીતે કોર્ટ ઉભી કરી સુનાવણી બતાવવામાં આવી હતી. જામીન મેળવવા 20 લાખ ભરવા કહ્યુંજે બાદ ફરિયાદીને જામીન મેળવવા માટે 20 લાખ રૂપિયા ભરવા માટે કહેવામાં આવ્યું હતું. જેથી ફરિયાદીએ જામીન મેળવવા માટે શેર વેચી યસ બેંકના એકાઉન્ટમાં 15.20 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. રૂપિયા ટ્રાન્સફર થયા બાદ ફરિયાદીને RBI લખાણ લખેલી બારકોડવાળી રસીદ મોકલી આપવામાં આવી હતી. તેમજ 20 લાખ ભરવા માટે હાઇકોર્ટ ઓફ મુંબઈ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગના સિક્કાવાળો સહી કરેલો લેટર પણ ફરિયાદીને મોકલવામાં આવ્યો હતો. ઘર વેચવાનો ઇનકાર કરતા ડિજિટલ એરેસ્ટ કરવાની ધમકી આપીજે બાદ ફરિયાદીએ પત્નીના દાગીના વહેંચી અન્ય 3.50 લાખ રૂપિયા UCO બેંકના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. છતાં પણ 20 લાખ રૂપિયા ન થતા એસ.કે. જયસ્વાલે મકાન વહેંચીને બાકીના નાણા ભરવાની સલાહ આપી હતી. જે દરમિયાન ફરિયાદીએ ઘર વેચવાનો ઇનકાર કરતા ડિજિટલ એરેસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી. દીકરી ઘરે આવતા સાયબર ઠગાઈની જાણ થઈજેના 20 દિવસ બાદ ફરિયાદીની દીકરી ઘરે આવી હતી. તેને માતા-પિતા ડરેલા હોવાથી શંકા જતા પૂછપરછ કરતા સમગ્ર હકીકત જણાવવામાં આવી હતી. દીકરીએ તપાસ કરતા સાયબર ઠગિયાઓએ ખોટી રીતે ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું હતું. જેથી ફરિયાદીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં 18.70 લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે. સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદના આધારે સાયબર ગઠિયાઓની તપાસ હાથ ધરી છે.
વડોદરા પોલીસની મેગા ડ્રાઇવ અંતર્ગત પંજાબ, હરિયાણા, દિલ્હી, બિહાર અને મહારાષ્ટ્રમાંથી નાસતા-ફરતા 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 7 આરોપીના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે. પકડાયેલા 7 આરોપીઓ સામે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેર પોલીસે નાસતા-ફરતા આરોપીઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની સૂચનાના આધારે ઝોન-1થી 4ના ડીસીપીના સંકલનમાં ક્રાઈમ બ્રાન્ચ અને વિવિધ પોલીસ સ્ટેશનોની કુલ 6 ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોને પંજાબ, હરિયાણા, દિલ્હી, બિહાર અને મહારાષ્ટ્ર રાજ્યોમાં વડોદરા શહેરના જુદા-જુદા ગુનાઓમાં સંડોવાયેલા નાસતા-ફરતા આરોપીઓની શોધખોળ માટે મોકલવામાં આવી હતી. આ ટીમોએ છેલ્લા 10 દિવસમાં સંલગ્ન રાજ્યોના વિવિધ વિસ્તારોમાં અથાગ મહેનત કરી હતી. સ્થાનિક પહેરવેશમાં સ્થાનિક લોકો સાથે ભળીને ખાનગી રીતે સતત વોચ રાખી હતી તેમજ હ્યુમન અને ટેક્નિકલ સોર્સનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીના પરિણામે વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા અપહરણ, ઘરફોડ ચોરી, બનાવટી દસ્તાવેજો, વિદેશી દારૂની હેરાફેરી અને ધમકી આપવા જેવા ગુનાઓમાં ઘણા વર્ષોથી નાસતા-ફરતા રહેલા કુલ 14 આરોપીઓની ભાળ મેળવી શોધી કાઢવામાં સફળતા મેળવી છે. આ 14 આરોપીઓ પૈકી 7 આરોપીઓ મૃત્યુ પામ્યા હોવાની પુષ્ટિ થઈ છે. બાકીના આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ આરોપીઓ વિરુદ્ધ અગાઉ તપાસ દરમિયાન મળી ન આવતા કોર્ટમાંથી સીઆરપીસી કલમ-70 હેઠળ વોરંટ મેળવવામાં આવ્યા હતા અને તેમને નાસતા-ફરતા આરોપી તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.
સુરત કોર્ટ પરિસરમાં આજે વકીલોની દલીલોને બદલે ચૂંટણીના સ્લોગન અને જીતવા માટેના દાવપેચ જોવા મળ્યા હતા. સુરત જિલ્લા વકીલ મંડળની આગેવાની મેળવવા માટે મેદાને ઉતરેલા 46 ઉમેદવારો પૈકી 6 હોદ્દેદારો અને 11 કારોબારી મળીને કુલ 17 વકીલોના મંડળનું ભાવી નક્કી કરવા માટે વહેલી સવારથી મતદાન શરૂ થયું હતું. કોર્ટના પરિસરમાં ઉમેદવારો હાથમાં પેમ્પલેટ લઈને વકીલ મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવતા નજરે પડ્યા હતા. વર્ષો જૂની માગ આ વખતે ચૂંટણી પ્રચારમાં મુખ્ય મુદ્દોઆ વર્ષની ચૂંટણીમાં સૌથી મહત્ત્વનો એજન્ડા નવી કોર્ટ બિલ્ડિંગના નિર્માણનો છે. વકીલોમાં આ પ્રશ્ન ચર્ચાનો વિષય છે કે, આગામી સમયમાં નવી કોર્ટ બિલ્ડિંગ ક્યાં આકાર લેશે અને તેમાં વકીલો માટે બેઠક વ્યવસ્થા કેવી હશે. આ સાથે જ સુરતમાં હાઈકોર્ટની એક બેન્ચ બને તેવી વર્ષો જૂની માગ પણ આ વખતે ચૂંટણી પ્રચારમાં મુખ્ય મુદ્દો રહી છે. વકીલોના પડતર પ્રશ્નો અને કોર્ટના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને વિવિધ પેનલો દ્વારા મોટા વચનો આપવામાં આવ્યા છે. પ્રથમવાર ખજાનચીનું પદ મહિલા વકીલને આપવાનો નિર્ણયચૂંટણી પ્રક્રિયામાં આ વર્ષે સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ 30% મહિલા અનામતનો ઐતિહાસિક અમલ કરવામાં આવ્યો છે. વકીલ મંડળના ઈતિહાસમાં પ્રથમવાર ખજાનચીનું પદ મહિલા વકીલને આપવાનો નિર્ણય લેવાયો છે. ખજાનચી અને એલઆરના પદ માટે મહિલા ઉમેદવારો વચ્ચે સીધો જંગ છે, જે સુરત બાર એસોસિએશનમાં મહિલા શક્તિના વધતા પ્રભાવને દર્શાવે છે. મતદાનની વ્યવસ્થામાં પણ આ વખતે મોટો ફેરફાર જોવા મળ્યો છે. મતદાન વધે તે માટેનો સમય 30 મિનિટ વધારવામાં આવ્યોમતદાનનો આંકડો વધે અને સમયસર પ્રક્રિયા પૂર્ણ થાય તે હેતુથી મતદાનનો સમય 30 મિનિટ વધારવામાં આવ્યો છે. વહેલી સવારે 8:30 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 4:00 વાગ્યે પૂર્ણ થશે. વકીલોની ભીડને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત કરવામાં આવી છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. 1800થી વધુ મહિલા મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવશેઆંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો આ વર્ષે મતદારોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. ગત વર્ષના 4978 મતદારોની સામે આ વર્ષે કુલ 6433 મતદારો નોંધાયા છે, જેમાં 1500થી વધુ નવા યુવા મતદારો અને 1800થી વધુ મહિલા મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવશે. મતદારોની આટલી મોટી સંખ્યાને કારણે પરિણામો પણ ચોંકાવનારા આવી શકે છે તેવી ચર્ચા વકીલ આલમમાં ચાલી રહી છે. પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના મુખ્ય 6 હોદ્દાઓની ગણતરી ચોથા માળેમતગણતરી માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના મુખ્ય 6 હોદ્દાઓ માટેની ગણતરી ચોથા માળે થશે, જ્યારે કારોબારી સભ્યોની ગણતરી 10th માળે કરવામાં આવશે. રાત્રિના 8:00 વાગ્યા સુધીમાં વકીલ મંડળનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ઝડપી પરિણામ માટે આ વખતે ડિજિટલ અને માનવ શક્તિનો સમન્વય કરવામાં આવ્યો છે. આમીર ખાનની ફિલ્મ 'જો જીતા વહીં સિકંદર'ની પણ ખૂબ ચર્ચાચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં વકીલોમાં આમીર ખાનની ફિલ્મ 'જો જીતા વહીં સિકંદર'ની પણ ખૂબ ચર્ચા રહી હતી. વકીલોના વિવિધ ગ્રૂપો અને પેનલોએ પોતાની પેનલને જીતાડવા માટે ગ્રુપ મીટિંગો અને કેન્વાસિંગમાં શામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી હતી. હવે જોવાનું એ રહે છે કે સુરતના વકીલો આગામી વર્ષ માટે કઈ પેનલ પર પોતાનો વિશ્વાસ મૂકે છે.
ભરૂચ બાર એસોસિએશન ચૂંટણી:876 મતદારોએ મતદાન કર્યું, ત્રણ પેનલ વચ્ચે કાંટેની ટક્કર
ભરૂચ બાર એસોસિએશનની ચૂંટણી આજે કોર્ટ બિલ્ડિંગ ખાતે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ છે. આ વર્ષે પ્રથમ વખત સહકાર, પરિવર્તન અને સમરસતા એમ ત્રણ પેનલ વચ્ચે મુકાબલો જોવા મળી રહ્યો છે, જેને કારણે વકીલ વર્ગમાં વિશેષ ઉત્સાહ છે. અગાઉ બાર એસોસિએશનની ચૂંટણી મુખ્યત્વે સહકાર અને પરિવર્તન પેનલ વચ્ચે જ થતી હતી. જોકે, આ વર્ષે ભાજપના લીગલ સેલના એક આગેવાને સમરસતા પેનલ બનાવીને ચૂંટણી મેદાનમાં ઉતરતા રાજકીય રંગ વધુ ઘેરો બન્યો છે. ચર્ચા મુજબ, પરિવર્તન અને સમરસતા બંને પેનલ ભાજપના આગેવાનો સાથે સંકળાયેલી છે, જ્યારે સહકાર પેનલ પોતાની અલગ ઓળખ સાથે મેદાનમાં છે. ભરૂચ બાર એસોસિએશનમાં કુલ 876 નોંધાયેલા મતદારો છે. મતદાન પ્રક્રિયા સવારે 9.15 વાગ્યાથી શરૂ થઈને બપોરે 3.15 વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ તરત જ મતોની ગણતરી હાથ ધરવામાં આવશે. આ ચૂંટણીમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ટ્રેઝરર તેમજ કમિટી સભ્યોનું ભાવિ નક્કી થશે. મતદારોએ પ્રમુખ પદ માટે 3માંથી 1, ઉપપ્રમુખ માટે 4માંથી 1, સેક્રેટરી માટે 6માંથી 2 અને ટ્રેઝરર માટે 4માંથી 1 ઉમેદવારને મત આપવાનો છે. આ ઉપરાંત, પુરુષ કમિટી સભ્યો માટે 24માંથી 8 અને મહિલા કમિટી સભ્યો માટે 9માંથી 3 ઉમેદવારને મત આપવાના રહેશે. આમ, દરેક મતદારે કુલ 16 મત આપવાના છે. ચૂંટણીનું સંપૂર્ણ પરિણામ મતગણતરી પૂર્ણ થયા બાદ બપોર પછી જાહેર કરવામાં આવશે.

28 C