SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
... ...View News by News Source

નવરાત્રિના પહેલા નોરતે અમિત શાહ સુરતની મુલાકાતે:ઇસ્કોન મંદિરે 101 કરોડના ખર્ચે 2.1 એકરમાં મહિલા રોજગાર કેન્દ્ર, આરોગ્યલક્ષી ક્લિનિકના ભૂમિપૂજનમાં હાજરી આપશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રિના પહેલા નોરતે સુરતની મુલાકાતે આવશે. તેઓ કોસમાડા સ્થિત એનથમ સર્કલ ખાતે આયોજિત ઇસ્કોન મંદિરના ભૂમિપૂજન સમારોહમાં હાજરી આપશે. રૂપિયા 101 કરોડના ખર્ચે 2.1 એકરમાં નિર્માણ પામનારા આ મંદિરમાં સ્ત્રી સશક્તિકરણ માટે મહિલા રોજગાર કેન્દ્ર, આરોગ્યલક્ષી ક્લિનિક અને ગરીબો માટે દૈનિક મફત ભોજન જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 6:50 pm

પાટણમાં 6 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત:ખાણ ખનીજ વિભાગે 15ડમ્પર અને 1હિટાચી મશીન ઝડપ્યા

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના દેલીયાથર ગામ પાસે બનાસ નદીના પટમાં ગેરકાયદેસર ખનીજ ખનન પર જિલ્લા ખાણ અને ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ખાનગી બાતમીના આધારે ગત સાંજે પાડવામાં આવેલી રેડ દરમિયાન વિભાગે કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ કાર્યવાહીમાં ખાણ અને ખનીજ વિભાગે ગેરકાયદેસર ખનન કરતા 15 ડમ્પર અને 1 હિટાચી મશીન જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત 6 કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી રહી છે.વિભાગે તમામ જપ્ત કરેલા વાહનોને સરસ્વતી તાલુકાના વાયડ ગામ ખાતે આવેલી સરકારી જગ્યામાં તપાસ અર્થે રાખ્યા છે.આ મામલે ખાણ અને ખનીજ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વિભાગે RTO પાસેથી ઝડપાયેલા વાહનોના માલિકોની વિગતો મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે, તેમજ આ ગેરકાયદેસર ખનન કેટલા સમયથી ચાલી રહ્યું હતું તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 6:42 pm

દાહોદના સંજેલીમાં MGVCLનો દરોડો, 39.88 લાખની વીજ ચોરી ઝડપાઈ:બે દિવસમાં કાર્યવાહી, ઘરે ઘરે ચેકિંગથી વીજ ચોરોમાં ફફડાટ

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL)ની વિજિલન્સ ટીમે વીજ ચોરી સામે મોટી કાર્યવાહી કરી છે. ટીમે સતત બે દિવસ ચાલેલા દરોડામાં કુલ 39.88 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં પ્રથમ દિવસે 21 લાખ રૂપિયાની વીજ ચોરી પકડાઈ હતી, જ્યારે બીજા દિવસે 18.88 લાખ રૂપિયાની વધુ ચોરી મળી આવતા કુલ આંક 39.88 લાખ રૂપિયા પર પહોંચ્યો છે.MGVCLની વિજિલન્સ ટીમે સંજેલી નગરમાં ઘરે ઘરે અને શંકાસ્પદ સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ ઝુંબેશ દરમિયાન વીજ મીટરોમાં ગેરરીતિ, ગેરકાયદેસર કનેક્શન અને અનધિકૃત વીજ વપરાશના અનેક કિસ્સાઓ શોધી કાઢવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. એમજીવીસીએલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ તપાસ હજુ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ વીજ ચોરી ઝડપાવાની શક્યતા છે. ટીમ દ્વારા વ્યાપારી સંકુલો, ઔદ્યોગિક એકમો અને રહેણાંક વિસ્તારો સહિતના શંકાસ્પદ સ્થળો પર નજર રાખવામાં આવી રહી છે.અધિકારીઓએ ચેતવણી આપી છે કે વીજ ચોરીના દરેક કેસમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે, જેમાં દંડ અને કાનૂની પગલાંનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી વીજ ચોરી અટકાવવા અને પારદર્શક વીજ વિતરણ સુનિશ્ચિત કરવા માટેનું એક મહત્વનું પગલું છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 6:41 pm

જય સોનીની આગોતરા જામીન અરજી પરત ખેંચાઈ:નવસારીના એટ્રોસિટી અને દુષ્કર્મ કેસમાં હાઈકોર્ટમાંથી અરજી પરત

ટેટુ આર્ટિસ્ટ જય સોની વિરુદ્ધ નોંધાયેલા એટ્રોસિટી અને દુષ્કર્મ કેસમાં મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી રદ થયા બાદ, ગુજરાત હાઈકોર્ટમાંથી પણ જય સોનીના વકીલ દ્વારા આગોતરા જામીન અરજી પરત ખેંચી લેવામાં આવી છે. નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપી જય સોની પરણિત હોવા છતાં ભોગ બનનારને લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરવાનો આરોપ છે. ગર્ભ રહી જતાં ભોગ બનનાર પાસે જબરદસ્તી ગર્ભપાત કરાવી, તેણીને તરછોડી દઈ જાતિ-વિષયક અપમાન કર્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.આ ગુનામાં જય સોની દ્વારા નવસારી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. ભોગ બનનાર તરફે સિનિયર એડવોકેટ પ્રતાપસિંહ કે. મહિડા અને એડવોકેટ તસ્લીમ એમ શેખ હાજર રહ્યા હતા. તેમના દ્વારા રજૂ કરાયેલ સોગંદનામું અને સરકારી વકીલ બી.ડી. રાઠોડની દલીલોને માન્ય રાખીને, 6 ઓગસ્ટ, 2025ના રોજ નવસારીના બીજા અધિક ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ સી.જી. મહેતા સાહેબ દ્વારા આ અરજી નામંજૂર કરવામાં આવી હતી.ડિસ્ટ્રિક્ટ કોર્ટના આ હુકમ વિરુદ્ધ જય સોનીએ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જસ્ટિસ દિવ્યેશ એ. જોશી સાહેબની કોર્ટમાં 17 સપ્ટેમ્બર, 2025ના રોજ સુનાવણી સમયે, જય સોનીના એડવોકેટ દ્વારા આ જામીન અરજી પરત ખેંચી લેવામાં આવી હતી. શું હતો સમગ્ર કેસ?નવસારી શહેરના લૂંસીકુઈ વિસ્તારમાં આવેલા ટેટુ સ્ટુડિયો ધરાવતા યુવાને શહેરની એક યુવતી સાથે મિત્રતા કેળવ્યા બાદ શરીર સંબંધ બાંધી તેને લગ્નની લાલચ આપ્યા બાદ તરછોડી દીધા બાદ યુવતીને જાતિ વિષયક ગાળો આપતા જય સોની વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસ મથકમાં 12 એપ્રિલ 2025 ના રોજ ફરિયાદ આપતા એટ્રોસિટી એક્ટ,દુષ્કર્મ,અને ગેરકાયદેસર ગર્ભપાતની મુજબ ફરિયાદ નોંધાઈ હતી. શહેરના લુંસીકુઈ વિસ્તારમાં આવેલા ડ્રીમલેન્ડ ટેટૂ સ્ટુડિયો ધરાવતા જય સોનીના સ્ટુડિયો પર યુવતી 27 માર્ચ 2023 ના રોજ ટેટુ પડવા ગઈ હતી, કામ પૂર્ણ થયા બાદ જય સોનીએ યુવતી નો નંબર લઈ ફોન પર લવ યુ અને મારે તને હક કરવું છે જેવા મેસેજ કર્યા હતા જે બાદ યુવતી સાથે તેની મિત્રતા થઈ હતી અને જય સોનીએ યુવતીને મારી પત્ની સાથે છૂટાછેડા થયા બાદ તારી સાથે લગ્ન કરીશ તેવો વાયદો કરી અલગ અલગ જગ્યાએ શરીરી સંબંધ બાંધ્યા હતા, લાંબા સમય સુધી લગ્નની લાલચ આપ્યા બાદ યુવતીને ગર્ભ રહેતા યુવાને તેને ગર્ભ નિરોધક ગોળી આપ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં જોખમી રીતે ગર્ભપાત પણ કરાવ્યો હતો, અને એક દિવસે જય સોની એ હવે આપણા લગ્ન શક્ય નથી એવું કહી જાતિ વિષયક ગાળો આપી હતી. જેથી યુવતીએ ગત એપ્રિલ માસમાં જય સોની વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસ મથકનો અરજી આપતા તેના આધારે પોલીસે એટ્રોસિટી એક્ટ, બળાત્કાર ગેરકાયદેસર ગર્ભપાત અને ગાળ આપવાના ગુના ને લગતી એક્ટ મુજબ ફરિયાદ નોંધી હતી, હજુ સુધી આરોપી જય સોનીની ધરપકડ થઈ નથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 6:40 pm

રોડ પર દર્દથી તરફડિયા મારતા લોકો:સુરતમાં પીકઅપ વાન અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત; પાંચથી વધુ લોકો ઘાયલ

સુરતના ઉન વિસ્તાર પાસે આવેલા સોનારી ગામ નજીક આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં કેળા ભરેલી એક પીકઅપ વાન અને રિક્ષા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં પાંચથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, અકસ્માતમાં પીકઅપ વાન પલટી મારી ગઈ હતી. જ્યારે રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. રિક્ષામાં સવાર લોકો રોડ પર પટકાયા હતા અને દર્દથી તરફડિયા મારતા પણ નજરે પડ્યા હતા. પીકઅપ વાન અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માતમળતી માહિતી અનુસાર, પીકઅપ વાન અને રિક્ષા સામસામે ટકરાયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે પીકઅપ વાન પલટી મારી ગઈ હતી, જ્યારે રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. રિક્ષામાં સવાર લોકો ગંભીર ઈજાઓ સાથે રોડ પર પટકાયા હતા અને દર્દથી તરફડિયા મારી રહ્યા હતા. અકસ્માત બાદ તરત જ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને ઘાયલોની મદદ કરવા લાગ્યા હતા. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. અકસ્માતમાં બંને વાહન ચાલકો સહિત પાંચથી વધુ લોકો ઘાયલએમ્બ્યુલન્સ મારફતે તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ગમખ્વાર અકસ્માતમાં બંને વાહનોને ભારે નુકસાન થયું છે. બંને વાહન ચાલકો સહિત પાંચથી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી, પરંતુ પ્રાથમિક અનુમાન છે કે ઝડપ અને બેદરકારી અકસ્માતનું કારણ હોઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 6:38 pm

દિવાન બલ્લુભાઈ શાળામાં હિમોગ્લોબિન ટેસ્ટ કેમ્પ યોજાયો:વિદ્યાર્થીઓના આરોગ્યની કાળજી માટે વિશેષ આયોજન

દીવાન-બલ્લુભાઈ શાળા, કાંકરિયા ખાતે વિદ્યાર્થીઓના આરોગ્યની કાળજી માટે હિમોગ્લોબિન ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ચકાસી, તેમને સ્વસ્થ જીવનશૈલી માટે માર્ગદર્શન આપવાનો હતો. આ કેમ્પમાં નિષ્ણાત મેડિકલ ઓફિસર ડૉ. નમનભાઈ ગજ્જર અને નર્સિંગ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવી હતી. લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ચકાસવા માટે સરળ પદ્ધતિનો ઉપયોગ કરાયો હતો, જે ખાસ કરીને કિશોરી વિદ્યાર્થિનીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થયો.જે વિદ્યાર્થીઓમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું જણાયું, તેમને ડૉક્ટરે યોગ્ય આહાર, લીલાં શાકભાજી, ફળો અને આયર્ન સપ્લિમેન્ટ્સ લેવાની સલાહ આપી હતી. આનાથી તેમના સ્વાસ્થ્યમાં સુધારો લાવી શકાય. શાળાના આચાર્ય બિપીનચંદ્ર પંચાલે આ અંગે જણાવ્યું કે, આવા આરોગ્ય પરીક્ષણોથી વિદ્યાર્થીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધે છે. તેમણે ઉમેર્યું કે આ પ્રકારના કાર્યક્રમો ભવિષ્યમાં વિદ્યાર્થીઓને સ્વસ્થ જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરે છે.વિદ્યાર્થીઓએ પણ આ આરોગ્ય અભિયાનને સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. તેમણે નિયમિત આરોગ્ય ચકાસણી કરાવવાની અને ડૉક્ટરની સલાહ મુજબ જીવનશૈલી અપનાવવાની પ્રતિજ્ઞા લીધી.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 6:21 pm

બોટાદ ST સ્ટેન્ડમાં મોટા ખાડા:ડ્રાઇવરો-મુસાફરો પરેશાન, તાત્કાલિક રોડ બનાવવા માંગ

બોટાદના એસટી બસ સ્ટેશનમાં મોટા ખાડાઓને કારણે બસ ચાલકો, કંડક્ટરો અને મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ ખરાબ રસ્તાઓને લીધે બસોને વારંવાર નુકસાન થાય છે અને મુસાફરો માટે પણ અકસ્માતનો ભય રહે છે.પાળીયાદ રોડ પર આવેલા બોટાદ એસટી બસ સ્ટેશનની હાલત અત્યંત ખરાબ છે. દરરોજ 250થી વધુ બસોની અવરજવર રહે છે, પરંતુ બસ સ્ટેશનના પ્રવેશદ્વાર પરના રસ્તામાં મોટા ખાડા પડી ગયા છે. આ ખાડાઓ બસોના પાટા, જમ્પર તોડી નાખે છે અને અનેકવાર ટાયર પણ ફાટી જાય છે, જેનાથી બસને ભારે નુકસાન થાય છે. રાત્રિના સમયે અથવા પાણી ભરાયેલું હોય ત્યારે આ ખાડાઓ અકસ્માતનું કારણ બની શકે છે.બોટાદ બસ સ્ટેશનમાં કેટલાય વર્ષોથી રોડ બનાવવામાં આવ્યો નથી. આ અંગે એસટી મેનેજરે જણાવ્યું છે કે રોડ મંજૂર થઈ ગયો છે અને વડી કચેરીથી ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થતાં જ રોડ બનાવવાનું કામ શરૂ થશે.રસ્તાઓની ખરાબ હાલત ઉપરાંત, બસ સ્ટેશનમાં ગંદકી, ઝાડી-ઝાંખરા અને કચરાના ઢગલા પણ મુસાફરો માટે મુશ્કેલી ઊભી કરે છે. બસ સ્ટેન્ડ બિલ્ડિંગ કોમ્પ્લેક્સમાં આવેલી ખાણીપીણીની દુકાનો અને રેસ્ટોરન્ટ્સનો કચરો પણ અહીં ઠાલવવામાં આવે છે. શહેરના નાગરિક અભિષેક સોલંકીએ બસ સ્ટેન્ડમાં નિયમિત સફાઈ થતી ન હોવા અંગે સવાલ ઉઠાવ્યા છે. આ ગંદકીના કારણે મચ્છર અને જીવજંતુઓનો ઉપદ્રવ પણ વધ્યો છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 6:04 pm

લક્ષ્મીપુરા વિસ્તારના મકાનમાંથી ગાંજા સાથે એક ઝડપાયો:ગાંજો ઘરમાં સંતાડીને ગ્રાહકોને છુટકમાં વેચાણ કરતો, વડોદરા SOGએ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો

વડોદરા શહેરના લક્ષ્મીપુરા રોડ અમૃતનગર ખાતે રહેણાંક મકાનમાથી એક ઇસમને માદક પદાર્થ ગાંજાનો જથ્થા સાથે વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી NDPS એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી.રાતડા દ્વારા અલગ- અલગ ટીમો બનાવી વડોદરા શહેરમાં નાર્કોટીક્સની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શકમંદ ઇસમો ઉપર જરૂરી વોચ રાખી ઝડપી પાડવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટીમને બાતમી મળતાની સાથે રહેણાંક વિસ્તારમાં રેડ કરી આરોપી સાથે મુદ્દામાલ ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. રહેણાંક મકાનમાં ગાંજો સંતાડીને રાખનાર શખ્સની ધરપકડએસઓજી ટીમને બાતમી મળી હતી લક્ષ્મીપુરા રોડ, અમૃતનગરમાં રહેતો આકાશ પરસોત્તમભાઇ બુંદેલા તેના રહેણાંક મકાનમાં ગાંજો સંતાડીને તેનું ગ્રાહકોને છુટકમાં ગાંજાનું વેચાણ કરે છે. જેના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા રેડ કરવામાં આવી હતી અને આ જગ્યાએથી મુદ્દા માલ સાથે આરોપીને ઝડપી લક્ષ્મીપુરા પોલીસ મથકમાં એનડીપીએસ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 21 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યોઆ કાર્યવાહીમાં આરોપી આકાશ પરસોત્તમભાઇ બુંદેલા (ઉ.વ. 33, રહે.મકાન નં.552, અમૃતનગર, લક્ષ્મીપુરા રોડ, સમતા, વડોદરા શહેર)ને માદક પદાર્થ ગાંજાનો જથ્થો 1 કિલો 660 ગ્રામ, કિ. રૂપિયા 16,600, મોબાઈલ, ડીઝીટલ વજન કાંટા સહિત કુલ રૂપિયા 21,800 નો મુદ્દામાલ ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 6:04 pm

અંબાલાલનો ધડાકો:મેઘો નવરાત્રિ બગાડશે, કિંજલ દવે '4-4 બંગડીવાળી સોન્ગ' નહીં ગાઈ શકે, ગાંધીનગરમાં 150 દબાણો પર બુલડોઝર ફર્યા

1000 કરોડની જગ્યા ખુલ્લી કરવા મેગા ડિમોલિશન ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેથાપુર વિસ્તારમાં GEB પાછળ નદીકિનારે સરકારી જમીન પર થયેલાં ગેરકાયદે 150થી વધુ દબાણોને દૂર કરવા માટે આજે 18 સપ્ટેમ્બરને ગુરુવારે વહેલી સવારથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી માટે 10 JCB, 15 આઈવા ટ્રક અને 700થી વધુ પોલીસકર્મચારીઓનો કાફલો તહેનાત કરાયો છે. આ મેગા ડિમોલિશન ડ્રાઈવમાં દબાણકર્તાઓનાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી અંદાજિત 1000 કરોડની એક લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત મોકૂફ ગુજરાતમાં 30 વર્ષથી રાજકીય વનવાસ ભોગવી રહેલી કોંગ્રેસને બેઠી કરવા હવે રાહુલ ગાંધી મેદાને પડ્યા છે. એના ભાગરૂપે જૂનાગઢની ભવનાથ તળેટીમાં શહેર-જિલ્લા કોંગ્રેસ-પ્રમુખની તાલીમ શિબિર ચાલી રહી છે. સ્થાનિક નેતાઓને માર્ગદર્શન આપવા માટે 12 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી પણ આવ્યા હતા. તેમણે 41 શહેર અને જિલ્લા-પ્રમુખોના 4 કલાક નેતાઓના ક્લાસ લીધા હતા. હવે ફરીવાર આજે તેઓ આ શિબિરમાં ભાગ લેવા આવવાના હતા, જોકે દિલ્હીમાં હવામાન ખરાબ હોવાથી તેમની ફ્લાઇટ ટેક ઓફ થઈ શકી નહોતી. હવે તેમની આજની મુલાકાત રદ થઈ છે. હવે તેઓ આવતીકાલે આવે એવી શક્યતા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો અનિરુદ્ધસિંહ જાડેજા ગમે તે ઘડીએ સરેન્ડર કરશે અનિરુદ્ધસિંહ જાડેજા આજે સરેન્ડર કરશે. રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા આજે જૂનાગઢ જેલમાં પોપટ સોરઠિયા હત્યા કેસમાં સરેન્ડર કરશે. જેથી હાલ જૂનાગઢ જેલ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ સમયે અમિત ખૂંટ આત્મહત્યાકેસમાં પણ તેમની ધરપકડ થઈ શકે છે. હાઇકોર્ટના 18 સપ્ટેમ્બર પહેલા સરેન્ડર કરવાના ચુકાદાને ગ્રાહ્ય રાખી સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવા આદેશ કર્યો હતો. જેમાં સરેન્ડર કર્યા પછી સજા માફી અંગે નિર્ણય કરવામાં આવશે. તેમજ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ ગોંડલ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાની 19 ઓગસ્ટે આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો કિંજલ દવે નહીં ગાઈ શકે ચાર-ચાર બંગડી ગીત ગુજરાતીઓનું પ્રિય 'ચાર-ચાર બંગડી'વાળું ગીતના કોપીરાઇટનો મામલો હાઇકોર્ટમાં છે. નીચલી કોર્ટના ચુકાદા સામે રેડ રિબને હાઇકોર્ટમાં અપીલ કરી હતી, જેની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કિંજલ દવેના આ ગીતને જાહેર મંચ પરથી ગાવા મુદ્દે સ્ટે યથાવત્ રાખ્યો હતો, જોકે છેલ્લી સુનાવણીમાં આ સ્ટેને હટાવી લેવામાં આવ્યો હતો, પરંતુ રેડ રિબન દ્વારા અપીલમાં જવાની તૈયારી બતાવાતાં હાઈકોર્ટ સમક્ષ 8 અઠવાડિયાં સુધીનો સ્ટે લંબાવવાની માગ કરવામાં આવી હતી, જેથી હાઇકોર્ટે પોતાના ઓર્ડરના પર સ્ટે આપ્યો છે, જે 4 નવેમ્બર સુધી યથાવત્ રહેશે. આ કેસની ફાઇનલ સુનાવણી ડિસેમ્બર મહિનામાં યોજાવાની શકયતા છે. આગામી નવરાત્રિમાં કિંજલ દવેને કોર્ટમાંથી રાહત ના મળે ત્યાં સુધી તો આ ગીત ગાવાની શકયતા નહિવત્ છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો લેવિસ-મેટ્રો ગ્રુપના 250 કરોડના બેનામી વ્યવહારો મળ્યા મોરબી અને રાજકોટમાં IT વિભાગના મેગા સર્ચ-ઓપરેશને સૌરાષ્ટ્રના ઉદ્યોગજગતમાં ખળભળાટ મચાવી દીધો છે. મોરબીના જાણીતા લેવિસ અને મેટ્રો સિરામિક ગ્રુપ પર આવકવેરા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસમાં અત્યારસુધીમાં 11 કરોડની રોકડ અને 5 કરોડની જવેલરી જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત તપાસ દરમિયાન 250 કરોડ રૂપિયાથી વધુના બેનામી હિસાબો મળ્યા છે, જે અત્યારસુધીની સૌથી મોટી કરચોરીનો ખુલાસો કરે છે. હાલ આ તપાસ પૂર્ણતાના આરે છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો દેશી દારૂના અડ્ડા પર જનતારેડ જૂનાગઢ જિલ્લાના ગામડાઓમાં દેશી દારૂના બેફામ વેચાણ સામે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ભેસાણ અને મેંદરડા બાદ હવે 17 સપ્ટેમ્બરના કેશોદના ભાટ સિમરોલી ગામે સરપંચ સહિતના ગ્રામજનોએ દારૂના અડ્ડાઓ પર જનતા રેડ પાડી છે. આ રેડમાં મહિલા સરપંચ સહિત ગ્રામજનોએ દારૂ વેચતા તત્વોને ઝડપી પાડ્યા હતા અને પોલીસની નિષ્ક્રિયતા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. આ સાથે મહિલા સરપંચે આક્ષેપ કર્યો હતો કે, પોલીસને લેટરપેડ પર જાણ કર્યા બાદ પણ કાર્યવાહી ન કરી. આ લોકો મહિલાઓને હેરાન કરે છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો પોલીસકર્મીએ રીક્ષાને અડફેટે લીધી અમદાવાદના વિશાલા સર્કલ પાસે 17 સપ્ટેમ્બરની મોડીરાતે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારચાલકે પૂરપાટ ઝડપે આવીને રિક્ષાને ટક્કર મારી હતી, જેના કારણે રિક્ષા પલટી જતાં ચાલક બેભાન થયો હતો. અકસ્માત બાદ લોકોનું ટોળું ભેગું થયું હતું અને રિક્ષાચાલકને સારવારમાં ખસેડી કારચાલકને ઝડપીને પોલીસને સોંપ્યો હતો. આ અકસ્માતમાં કારચાલક પોલીસકર્મી હોવાનું સામે આવ્યું છે, સાથે જ તેની કારમાંથી બિયરની બોટલ, વર્દી અને કારની નંબરપ્લેટ પણ મળી હતી. પોલીસકર્મી નશાની હાલમાં હોવાનો આક્ષેપ સ્થળ પર હાજર લોકોએ કર્યો છે. સમગ્ર મામલે એમ ડિવિઝન ટ્રાફિક-પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ગ્રામજનોએ હાઇવે ચક્કાજામ કરી પેપર મિલ બંધ કરાવી મહેસાણા-બહુચરાજી હાઈવે પર આજે(18 સપ્ટેમ્બર) ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, કારણ કે સામેત્રા ગામ નજીક ચારથી પાંચ ગામના ગ્રામજનોએ ચક્કાજામ કર્યો હતો. આ ચક્કાજામનું મુખ્ય કારણ ટ્વીલાઈટ ક્રાફ્ટ પેપર પ્રા. લિ. નામની પેપર મિલ દ્વારા ફેલાવવામાં આવતું ભયંકર પ્રદૂષણ અને દુર્ગંધ હતી, જેનાથી આસપાસના ગ્રામજનો ભારે પરેશાન હતા.મળતી માહિતી અનુસાર, ગ્રામજનોએ આ પેપર મિલના પ્રદૂષણ અંગે અનેકવાર સ્થાનિક તંત્રને રજૂઆત કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. જેના કારણે આખરે કંટાળીને ગ્રામજનોએ ચક્કાજામનો માર્ગ અપનાવ્યો હતો. જે બાદ તંત્રએ કંપનીને હંગામી ધોરણે બંધ રાખવાનો નિર્ણય લેતા લોકોનો રોષ ઠર્યો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો દુષ્કર્મ-હત્યાના આરોપીના ઘરે ગ્રામજનોની તોડફોડ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામે દુષ્કર્મનો આરોપી જય વ્યાસના ઘર પર આજે (18 સપ્ટેમ્બર) ગ્રામજનો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. ગ્રામજનોનું કહેવું છે કે અવારનવાર આ પ્રકારનાં કૃત્ય કરે છે, જેથી પરિવાર ગામમાં ન જોઈએ. આ હોબાળા બાદ ગામમાં વાતાવરણ તંગદિલીભર્યું બન્યું હતું. લોકો સાથે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મામલો શાંત પાડ્યો હતો. એક સમય લોકોના હોબાળા અને આરોપીના પરિવાર સામે આક્રોશને લઈ લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. પોલીસે પરિવારને પોલીસ વેનમાં બેસાડી ત્યાંથી રવાના થતાં બાદમાં મામલો શાંત પાડ્યો હતો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો અંબાલાલની નવરાત્રિમાં વરસાદની આગાહી ગુજરાતમાં એક તરફ ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે તો બીજી તરફ જે જિલ્લામાં હજી ચોમાસાની વિદાય થવાની બાકી છે ત્યારે આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, એટલે કે 22 અને 23 સપ્ટેમ્બરે પ્રથમ અને બીજા નોરતામાં પણ વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે. જ્યારે અંબાલાલ પટેલે નવરાત્રિમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 5:55 pm

વડોદરામાં ટાઈકોન 2025નું આયોજન, 100થી વધુ ઇન્વેસ્ટર ભાગ લેશે:23 - 24 સપ્ટેમ્બરે દેશભરના 33થી વધુ સ્પીકર્સ ભાગ લઈ પોતાના અનુભવો શેર કરશે, ઉધોગો અને સ્ટાર્ટઅપ પણ જોડાશે

વડોદરામાં આગામી 23 અને 24 સપ્ટેમ્બરના રોજ ટાઈકોન 2025માં ભાગ લેવા માટે દેશભરમાંથી 33 જેટલા નામાંકિત સ્પીકર આવશે. આ આયોજનનો મુખ્ય ઉદેશ્ય છે કે નવીનતા, સહયોગ અને ઉદ્યોગસાહસિક શ્રેષ્ઠતા માટે કેન્દ્રિય હબ બનવા માટે તૈયાર એક ફ્લેગશિપ ઇવેન્ટ છે. દેશભરના 33થી વધુ સ્પીકર્સ ટાઈકોન 2025માં ભાગ લેશેઆ કાર્યક્રમમાં 250થી વધુ સ્ટાર્ટઅપ્સ, 100થી વધુ રોકાણકારો, 60થી વધુ ઉદ્યોગો અને 70થી વધુ પાર્ટનર્સ સહિત એક હજારથી વધુ પ્રતિષ્ઠિત ઉપસ્થિતોને એકસાથે લાવશે. સાથે જ દેશભરના 33થી વધુ સ્પીકર્સ(વક્તા) ટાઈકોન 2025માં ભાગ લઈ પોતાના અનુભવો શેર કરશે. 42થી વધુ ફંડ હાઉસ સાથે પ્રત્યક્ષ જોડાણની તકઆ ઇવેન્ટ 33થી વધુ પ્રતિષ્ઠિત વક્તાઓના વક્તવ્યનું આયોજન કરશે, જેમાં વૈશ્વિક સ્તરે પ્રખ્યાત ઉદ્યોગસાહસિકો, યુનિકોર્નના સ્થાપકો, નવીન વિચારકો અને અગ્રણી રોકાણકારોનો સમાવેશ થાય છે. પ્રતિભાગીઓને 42થી વધુ ફંડ હાઉસ સાથે પ્રત્યક્ષ જોડાણની તકો હશે, જે અગ્રણી રોકાણ કંપનીઓ અને સાહસ મૂડીવાદીઓ સાથે મૂલ્યવાન જોડાણોની સુવિધા આપશે. વિવિધ ક્ષેત્રોમાં 250થી વધુ સ્ટાર્ટઅપ્સનું પ્રદર્શનપિચ-એ-થોન હેલ્થટેક, ક્લીન એનર્જી, મહિલાઓની આગેવાની હેઠળના સાહસો સહિતના વિવિધ ક્ષેત્રોમાં 250થી વધુ સ્ટાર્ટઅપ્સનું પ્રદર્શન કરશે, જે તેમને ઉદ્યોગના નેતાઓ અને રોકાણકારો સમક્ષ તેમની નવીનતાઓ રજૂ કરવાની મંજૂરી આપશે. સ્ટાર્ટ-અપ એવોર્ડ્સ ઉત્કૃષ્ટ સાહસોને કુલ INR 5 લાખ સુધીના રોકડ પુરસ્કારો સાથે સન્માનિત કરશે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 5:54 pm

ભરૂચમાં વરસાદથી ખરાબ થયેલા રસ્તાઓની મરામત શરૂ:માર્ગ અને મકાન વિભાગ દ્વારા પેચવર્ક, વાહનચાલકોને રાહત

માર્ગ અને મકાન વિભાગ, ભરૂચ (રાજ્ય) દ્વારા ચોમાસામાં ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા વિવિધ રસ્તાઓની મરામત અને પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીનો મુખ્ય હેતુ વાહનચાલકોને સરળ અને સુરક્ષિત મુસાફરી પૂરી પાડવાનો છે. ભરૂચ શહેરમાં શક્તિનાથથી લિંક રોડ અને સ્ટેશનથી ઝાડેશ્વર સુધીના માર્ગો પર ડામર પેચવર્કની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત, જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદથી નુકસાન પામેલા રસ્તાઓની મરામતનું કાર્ય ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. મુખ્યમંત્રીની સૂચના અનુસાર, ચોમાસામાં રસ્તાઓની ખરાબ હાલતથી લોકોને થતી મુશ્કેલીઓ દૂર કરવા માટે વિભાગે તાત્કાલિક પગલાં લીધાં છે. વરસાદ બંધ થતાં જ ભરૂચ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત નાના-મોટા રસ્તાઓના રિપેરિંગ, મેટલવર્ક અને ડામર પેચવર્કની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે, જેથી નાગરિકોને વધુ મુશ્કેલી ન ભોગવવી પડે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 5:50 pm

દાહોદમાં આખલાઓના યુદ્ધમાં યુવતી ઘાયલ:બિરસા મુંડા સર્કલ પર ઘટના, નગરપાલિકાની કામગીરી સામે સવાલ

દાહોદ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે. તાજેતરમાં બિરસા મુંડા સર્કલ પર બે આખલાઓ વચ્ચે થયેલા યુદ્ધ દરમિયાન એક યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ ઘટનાએ નગરપાલિકાની રખડતા પશુઓ અંગેની નિષ્ક્રિયતા પર ફરી સવાલો ઉભા કર્યા છે. આ ઘટના ગતરોજ બિરસા મુંડા સર્કલ પાસે બની હતી, જ્યાં બે આખલાઓ અચાનક લડવા લાગ્યા હતા. આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલી એક યુવતી આખલાઓની અડફેટમાં આવી ગઈ હતી, જેના કારણે તેને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક યુવતીને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. દાહોદ શહેરને સ્માર્ટ સિટી તરીકે ઓળખવામાં આવે છે, તેમ છતાં જાહેર રસ્તાઓ પર રખડતા પશુઓનો ઉપદ્રવ ચરમસીમાએ છે. શહેરના નાગરિકો દ્વારા આ મુદ્દે નગરપાલિકા સમક્ષ અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.ભૂતકાળમાં પણ આખલાઓના યુદ્ધ અને રખડતા પશુઓના કારણે અનેક લોકોને ઇજાઓ થઈ છે, અને એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું હોવાના કિસ્સા બન્યા છે. આવી ગંભીર ઘટનાઓ છતાં નગરપાલિકા દ્વારા રખડતા પશુઓને પકડીને પાંજરે પૂરવા કે અન્ય કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. રાહદારીઓ અને વાહનચાલકો દરરોજ આવા જોખમી પશુઓના ભય સાથે જીવવા મજબૂર છે. આ ઘટના શહેરના રહેવાસીઓમાં રોષ અને ચિંતાનું કારણ બની છે. શહેરવાસીઓ માંગ કરી રહ્યા છે કે નગરપાલિકા રખડતા પશુઓને પકડીને પાંજરે પૂરવાની કામગીરી તાત્કાલિક શરૂ કરે અને શહેરના રસ્તાઓને સુરક્ષિત બનાવે, જેથી નાગરિકો નિર્ભયપણે અવરજવર કરી શકે. જો તાત્કાલિક પગલાં નહીં લેવાય, તો ભવિષ્યમાં વધુ ગંભીર ઘટનાઓ બનવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 5:49 pm

મોરબીમાં 4,544 ખેડૂતોના મગફળી રજીસ્ટ્રેશન રદ:ટેકાના ભાવે વેચાણ માટે, કોંગ્રેસનું તંત્રને 48 કલાકનું અલ્ટિમેટમ

મોરબી જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે નોંધણી કરાવનાર 4,544 ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે. સેટેલાઈટ મેપિંગના કારણે થયેલી આ કાર્યવાહીથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ મુદ્દે કોંગ્રેસે તંત્રને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત બાદ ખેડૂતોએ નોંધણી કરાવી હતી. જોકે, છેલ્લા દિવસોમાં સેટેલાઈટ મેપિંગના આધારે મોરબી જિલ્લામાં કુલ 19,234 નોંધણીઓમાંથી 4,544 ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે. આ રદ્દીકરણથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.આ સમસ્યાના નિરાકરણ માટે ટંકારા તાલુકાના ખેડૂતો કોંગ્રેસના આગેવાનો સાથે ટંકારા તાલુકા પંચાયત કચેરી પહોંચ્યા હતા. મોરબી જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા ભૂપત ગોધાણી, જિલ્લા પંચાયતના માજી સભ્ય મહેશ રાજકોટિયા અને ટંકારા તાલુકા કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ ખેડૂતોએ તેમના ખેતરમાં મગફળી હોવા છતાં રજીસ્ટ્રેશન કેમ રદ થયા તેવો સવાલ કર્યો હતો.કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતોએ રજીસ્ટ્રેશન રદ થયેલા ખેડૂતો પાસેથી ફરીથી ફોર્મ મંગાવવાનો વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ખેડૂતોએ અગાઉ તમામ પુરાવા આપ્યા હતા અને જો ભૂલ સરકારની હોય તો ખેડૂતો શા માટે હેરાન થાય. કોંગ્રેસે તંત્રને ચીમકી ઉચ્ચારી છે કે જો 48 કલાકમાં રદ થયેલા રજીસ્ટ્રેશનની ચકાસણી કરીને તેમને મંજૂર કરવામાં નહીં આવે, તો ટંકારા તાલુકા પંચાયત કચેરી ખાતે તાળાબંધી અને રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. ટંકારા તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી અશોક હડિયાળ પાસેથી મળતી માહિતી મુજબ, રદ થયેલા રજીસ્ટ્રેશનનું વેરિફિકેશન કરવામાં આવશે. જોકે, સેટેલાઈટ મેપિંગના કારણે ઉભા થયેલા આ પ્રશ્નના નિકાલ માટે તાલુકા પંચાયત પાસે પૂરતો સ્ટાફ ન હોવાથી ખેડૂતોના ખેતર સુધી વેરિફિકેશન ક્યારે થશે તે એક મોટો પ્રશ્ન છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 5:49 pm

DRI, ED અને કસ્ટમ વિભાગના નાક નીચેથી ગોલ્ડ સ્મગલિંગ:દુબઇથી અમદાવાદ ને ત્યાંથી સુરત, જાણો કેમ આધુનિક ગણાતું મેટલ ડિટેક્ટર પણ પકડી ન શક્યું

સુરત SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)એ 16 સપ્ટેમ્બરના દુબઇથી અમદાવાદ ફ્લાઈટમાં અને અમદાવાદથી સુરત ટ્રેન મારફતે ગોલ્ડ સ્મગલિંગનું રેકેટ ઝડપી પાડ્યું હતું. 26 લાખથી વધુના ગોલ્ડ સાથે રત્નકલાકાર ભાવિક કાતરિયાની ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અગાઉ ગોલ્ડ સ્મગલિંગ માટે સુરત એરપોર્ટનો ઉપયોગ કરાતો હતો. જોકે, બે મહિના પહેલાં જ એક દંપતી ઝડપાઈ જતાં ભય વધુ હતો. જેથી તેઓએ અમદાવાદ એરપોર્ટ પરથી આ વેપલો શરૂ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, બે મહિના પહેલાં સુરત એરપોર્ટ પરથી પકડાયેલું દંપતી પણ મેટલ ડિટેક્ટર, કસ્ટમ વિભાગની તપાસમાંથી બહાર નીકળી ગયું હતું અને CISFના હાથે પકડાયું હતું. હાલ પણ અમદાવાદ એરપોર્ટ ખાતેથી ગોલ્ડ બહાર નીકળી ગયું હતું અને ટ્રેન મારફતે સુરત આવી રહ્યું હતું ત્યારે સુરત SOG દ્વારા પકડી પાડવામાં આવ્યું હતું. જેથી ગોલ્ડ સ્મગલિંગ મામલે બંને એરપોર્ટ પર મેટલ ડિટેક્ટર અને કસ્ટમ, DRI અને ED જેવી એજન્સીઓ ઊંઘતી ઝડપાઈ છે. 239.500 ગ્રામ ગોલ્ડ પેસ્ટ સાથે ભાવિક કાતરિયાની ધરપકડસ્પેશિયલ ઓપરેશ ગ્રૂપના પીઆઇ અશોક ચૌધરીને મળેલી બાતમીને આધારે બે દિવસ પહેલાં એટલે કે 16 સપ્ટેમ્બર 2025ના રોજ રેલવે સ્ટેશનની રૂપા રેસ્ટોરન્ટ પાસેથી ભાવિક પ્રવીણ કાતરિયા (ઉ.વ. 20, રહે. મહેક રેસિડેન્સી, હરિદર્શનનો ખાડો, સિંગણપોર, સુરત. મૂળ- તાતણીયા, મહુવા, ભાવનગર)ને પકડી પાડ્યો હતો. ભાવિકની લગેજ બેગના રેક્ઝિન તથા પ્લાસ્ટિક વચ્ચેના ભાગથી ગોલ્ડને કેમિકલ સ્પ્રેથી મિક્સ કરી બનાવાયેલી 26.34 લાખ રૂપિયાની 239.500 ગ્રામ ગોલ્ડ પેસ્ટ મળી આવી હતી. ભાવિક આ ગોલ્ડ દુબઇથી લઈને આવ્યો હતો અને અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ ત્યાંથી ટ્રેન મારફતે સુરત આવ્યો હતો. ગોલ્ડ સ્મગલિંગની માસ્ટર માઇન્ડ નિરાલી રાજપૂત વોન્ટેડ જાહેરઆ સમગ્ર ગોલ્ડ સ્મગલિંગના કેસમાં માસ્ટર માઇન્ડ સુરતના પોશાળ ખાતે રહેતી નિરાલી રાજપૂત હોવાનું સામે આવ્યું છે અને તે હાલ દુબઇમાં હોવાથી વોન્ટેડ જાહેર કરાઈ છે. આ સાથે જ તેની સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. આ ઉપરાંત એક અકરમ પટેલ અને અમિત સોનીની પણ સંડોવણી સામે આવી છે. આ સમગ્ર ટોળકી સુરત અને દક્ષિણ ગુજરાતની છે. આ ગેંગ દ્વારા અગાઉ પણ ઘણીવાર આ રીતે ગોલ્ડ સ્મગલિંગ કરવામાં આવ્યું હોવાની આશંકાઓ સેવવામાં આવી રહી છે. પહેલાં ગેંગ દ્વારા સુરત એરપોર્ટ ખાતેથી ગોલ્ડ સ્મગલિંગ કરવામાં આવતું હતું. જુલાઈમાં 25.57 કરોડનું 24.827 કિલો ગોલ્ડ જપ્ત કર્યું હતુંઆ અગાઉ જુલાઈ મહિનામાં એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) સુરત એરપોર્ટ પરથી બે મુસાફરો પાસેથી 25.57 કરોડનું 24.827 કિલો ગોલ્ડ જપ્ત કર્યું હતું. અમદાવાદ કસ્ટમ્સ કમિશનરેટ દ્વારા ગુજરાતમાં સોનાની સૌથી મોટી 10 દાણચોરીમાંની એક છે. આ બંને મુસાફર પતિ-પત્ની હોવાનું સામે આવ્યું હતું. ગત 20 જુલાઈના રોજ એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ IX-174 દ્વારા દુબઇથી સુરત આવી રહેલા બે મુસાફરોને આગમન હોલમાં અટકાવવામાં આવ્યા હતા. CISF કર્મચારીઓ દ્વારા એક મુસાફરો વિશે મળેલા ઇનપુટથી શંકા વધુ મજબૂત બની હતી. તે મુજબ બંને મુસાફરોની વિગતવાર વ્યક્તિગત તપાસ કરવામાં આવી હતી. 24.827 કિલોગ્રામ સોના સાથે દંપતીની ધરપકડ કરાઈ હતીબંને મુસાફર (પતિ-પત્ની) વિરલ અને ડોલીની તપાસ અને વ્યક્તિગત શોધખોળ દરમિયાન કુલ 28.100 કિલો સોનાની પેસ્ટ મળી આવી હતી. જે જીન્સ/પેન્ટ, અંડર ગાર્મેન્ટ્સ, હેન્ડબેગ અને ફૂટવેરમાં કુશળતાપૂર્વક છૂપાવવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં સ્થાનિક બજારમાં આશરે 25.57 કરોડની કિંમતનું 24.827 કિલોગ્રામ સોનું મળી આવ્યું હતું. બંને વ્યક્તિઓની કસ્ટમ્સ એક્ટ, 1962ની સંબંધિત જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ત્રણ એજન્સીઓના નાક નીચેથી ગોલ્ડ એરપોર્ટ બહાર નીકળ્યુંજોકે, આ ગોલ્ડ સ્મગલિંગના કિસ્સામાં નવાઈની વાત એ છે કે, એરપોર્ટ ખાતે કસ્ટમ, DRI અને ED જેવી એજન્સીઓની ઓફિસો ધમધમતી હોવા છતાં આ એજન્સીઓને દુબઈથી સોનાની દાણચોરીની વિગત મળી ન હતી. એરપોર્ટ પરિસરની સુરક્ષા વ્યવસ્થાની જેની જવાબદારી છે એ ત્રણેય એજન્સીના નાક નીચેથી સોનું બહાર નીકળી જતા ત્રણેય એજન્સીઓના અધિકારીઓ માટે વિચિત્ર સ્થિતિ ઊભી થઈ છે. એરપોર્ટથી બિન્ધાસ્ત ગોલ્ડ પેસ્ટ છુપાવેલી બેગ લઈ જવામાં ઠગબાજો સફળ થઈ રહ્યા છે. જેથી એરપોર્ટનો કસ્ટમ વિભાગ તો ઊંઘતો ઝડપાયો હતો પણ આધુનિક ગણાતું મેટલ ડિટેક્ટર પણ ગોલ્ડ પકડી ન શકતાં શોભાના ગાંઠિયા સમાન બની ગયું હોય એમ લાગી રહ્યું છે. ગોલ્ડ સ્મગલિંગ કરનારી ગેંગ તંત્રની આંખમાં ધૂળ નાખવા અવનવી ટ્રિક અપનાવી પોતાના મનસુબા પાર પાડી રહી છે. મેટલ ડિટેક્ટરને ચકમો આપવા કેમિકલનું લેયર કરાતુંઉલ્લેખનીય છે કે, ગોલ્ડ સ્મગલિંગના આ રેકેટમાં સંકળાયેલા તત્ત્વો દુબઈમાં જ સોનાને પ્રવાહી સ્વરૂપમાં ફેરવી દેતા હતા. આ માટે તેઓ સોનાની પેસ્ટ બનાવી તેમાં ખાસ કેમિકલ મિક્સ કરતા હતા. આ સોનાના પ્રવાહીને 'એક્વા રિજિયા' નામનું કેમિકલ લગાવવામાં આવતું હતું. જેના કારણે મેટલ ડિટેક્ટર પણ તે ડિટેક્ટ કરી શકતું નહોતું. આ પ્રવાહી સોનાને ટ્રાવેલિંગ બેગની બહારની બાજુએ રેક્ઝિન અને રબરની શીટ વચ્ચે સ્પે કરીને એક નવું લેયર બનાવવામાં આવતું હતું. આ નવી ટેકનિકથી સોનું મેટલ ડિટેક્ટરમાં પકડાતું નહોતું. જેના કારણે કસ્ટમ અને ઇમિગ્રેશન વિભાગના ચેકિંગ દરમિયાન પણ તેઓ સરળતાથી પસાર થઈ જતા હતા. સુરત એરપોર્ટ પર સોનું જપ્ત થતાં આ ગેંગે અમદાવાદને ટાર્ગેટ બનાવ્યુંસુરત પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભાવિક સુરત એરપોર્ટ ખાતેથી દુબઇ પહોંચ્યો હતો. ત્યાંથી તેણે દુબઈથી અમદાવાદની ફ્લાઈટ લીધી હતી. ગત જુલાઈમાં સોનાની પેસ્ટ સાથે સુરત એરપોર્ટ પરથી દંપતી ઝડપાયા બાદ આ ગેંગ દ્વારા અમદાવાદ એરપોર્ટને ગોલ્ડ સ્મગલિંગ માટે ટાર્ગેટ બનાવવામાં આવ્યું હતું. અમિત અને નિરાલી મહિને 8થી 10 લોકોને મોકલતા હતા. જેથી તેઓ મારફતે 60 જેટલી બેગો સુરત આવતી હતી. તેમનો આ વેપલો 6 મહિનાથી ધમધમતો હતો. અગાઉ તેઓ સુરત એરપોર્ટનો ઉપયોગ કરતા હતા પરંતુ અહીં પર્યટકો ઓછા હોવાથી પકડાઈ જવાનો ભય વધુ હતો. જેથી તેઓએ અમદાવાદ એરપોર્ટ પરથી આ વેપલો શરૂ કર્યો હતો. સુરતમાં અગાઉ પણ 25 અને 27 કરોડનું ગોલ્ડ જપ્ત કરાયું હતુંસુરતમાં આ પહેલાં પણ 20 કરોડથી વધુના દાણચોરીના સોના સાથે પકડવાના બે જેટલા કેસ નોંધાયેલા છે. વર્ષ 2023માં DRIએ સોનાની દાણચોરીનો સૌથી મોટો જથ્થો પકડ્યો હતો. જેની કિંમત 25 કરોડ હતી. જ્યારે આ પહેલાં 27 કરોડનું ગોલ્ડ પણ પકડવામાં આવ્યું હતું. સુરત એરપોર્ટ પર પકડાયેલું મોટાભાગનું ગોલ્ડ દુબઇ અને શારજાહથી આવતી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સમાં લાવવામાં આવતું હતું. ઘણીવાર સોનાની દાણચોરી માટે શરીર, કપડાં અને બેગ પર પેસ્ટના રૂપમાં દાણચોરી કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 5:46 pm

મોરબીમાં કાર-બાઈક અકસ્માત, CCTV:યોગેશ્વર સોસાયટીમાં કારચાલકે બાઇકને અડફેટે લીધું, હેલ્મેટથી યુવાનનો જીવ બચ્યો

મોરબીના રવાપર રોડ પર આવેલી યોગેશ્વર સોસાયટીમાં બુધવારે બપોરના સુમારે એક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં હેલ્મેટ પહેરેલા બાઇક ચાલકનો આબાદ બચાવ થયો હતો, જ્યારે અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બુધવારે બપોરે આશરે ૧ થી ૧:૩૦ વાગ્યાની આસપાસ યોગેશ્વર સોસાયટીમાં રહેતા ગોપાલભાઈ કનેટીયા પોતાની કાર લઈને ઘર પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે કાર ચાલકે કોઈ કારણોસર સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. કાબુ ગુમાવતા કારે શેરીમાં આવી રહેલા એક બાઇક ચાલક યુવાનને અડફેટે લીધો હતો. અકસ્માતના કારણે બાઇક ચાલક બાઇક સહિત રોડની બાજુમાં ફંગોળાઈ ગયો હતો. ત્યારબાદ કાર દીવાલ સાથે અથડાઈ હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે બાઇક ચાલકે હેલ્મેટ પહેર્યું હોવાથી તેને ગંભીર ઈજા થતા ટળી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, કારમાં લીવર ચોંટી જવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. બાઇક ચાલક યુવાન પણ યોગેશ્વર સોસાયટીનો જ રહેવાસી છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. આ બનાવ અંગે હજુ સુધી પોલીસ સ્ટેશનમાં કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 5:14 pm

ઠંડાઈમાં ભાંગ ભેળવીને રેપ કર્યો, વીડિયો બનાવી લાખો પડાવ્યા:બ્યુટીકેરની દુકાનમાં બળાત્કાર, લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યું, ભાભી પર દિયરનું દુષ્કર્મ; સુરતમાં 24 કલાકમાં 4 કેસ

સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં બળાત્કારના ચાર અલગ અલગ બનાવો સામે આવ્યા છે. જેમાં ચોકબજારમાં બ્યુટીકેરની દુકાનમાં યુવતી પર બળાત્કાર અને ધમકી, સિંગણપોરમાં સાસરિયાનો ત્રાસ અને દિયરનું દુષ્કર્મ, ડીંડોલીમાં ઠંડાઈમાં ભાંગ ભેળવીને બળાત્કાર, પછી વીડિયો બનાવી લાખો પડાવ્યા અને ભેસ્તાનમાં લગ્નની લાલચ આપી દુષ્કર્મ અને પૈસા પડાવ્યા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. બ્યુટીકેરની દુકાનમાં યુવતી પર બળાત્કાર અને ધમકીઆ પૈકી એક કિસ્સો ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારના ભરીમાતા વિસ્તારમાં બન્યો હતો. એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે કે, જાવેદ અલી ઈસરત અલી (ઉ.વ. 23) નામના યુવકે તેની પર બ્યુટીકેરની દુકાનમાં જ તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. આ દુષ્કર્મ બાદ, આરોપીએ પીડિતાને અને તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આરોપી જાવેદ ભરીમાતા વિસ્તારમાં જ એક સિલાઈના કારખાનામાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. પીડિતાની ફરિયાદના આધારે ચોકબજાર પોલીસે તાત્કાલિક આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સલામત જગ્યા ગણાતી દુકાનોમાં પણ મહિલાઓ સુરક્ષિત નથી. સાસરિયાનો ત્રાસ અને દિયરનું દુષ્કર્મબીજો એક અત્યંત શરમજનક અને સંવેદનશીલ કિસ્સો કતારગામ વિસ્તારમાં સામે આવ્યો છે. અહીં એક પરિણીતાએ પોતાના સાસરિયા પક્ષના સભ્યો સામે ગંભીર આરોપો સાથે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીડિતાના જણાવ્યા મુજબ તેના સાસરિયાઓ તેને શારીરિક અને માનસિક રીતે સતત ત્રાસ આપતા હતા. આ ત્રાસની પરાકાષ્ઠા ત્યારે આવી જ્યારે તેના દિયરે પરિણીતાની મરજી વિરુદ્ધ જબરદસ્તીથી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો. આ ઘટના બાદ પીડિતાએ હિંમત કરીને સાસરિયા પક્ષના આઠ સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં મુખ્યત્વે દિયર સામે દુષ્કર્મનો ગુનો દાખલ થયો છે. સિંગણપોર પોલીસે આ મામલે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. આ કિસ્સો કુટુંબીજનોના વિશ્વાસનો ભંગ અને સંબંધોની પવિત્રતાનો દુરુપયોગ દર્શાવે છે, જે સમાજ માટે ચિંતાનો વિષય છે. ઠંડાઈમાં ભાંગ ભેળવીને બળાત્કાર, પછી વીડિયો બનાવી લાખો પડાવ્યાત્રીજો કિસ્સો ડીંડોલી વિસ્તારમાંથી સામે આવ્યો છે. આ કિસ્સાની મોડસ ઓપરેન્ડી એટલી ચોંકાવનારી છે કે તે જોઈને કોઈ પણ વ્યક્તિ અવાક થઈ જાય. પીડિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી પ્રવીણ રણજીત પવારે તેને વિશ્વાસમાં લીધા બાદ ઠંડાઈમાં ભાંગ ભેળવીને પીવડાવી હતી. યુવતી બેભાન જેવી સ્થિતિમાં આવી ગયા બાદ પ્રવીણે તેનો લાભ ઉઠાવીને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. આટલેથી ન અટકતાં તેણે ગુપ્ત રીતે આ અંગત પળોનો વીડિયો પણ ઉતારી લીધો હતો. આરોપીએ વીડિયોનો ઉપયોગ બ્લેકમેલિંગ માટે કર્યો. તે યુવતીને અલથાણની ઓયો હોટલ અને દમણ પણ લઈ ગયો હતો, જ્યાં તેણે તેની સાથે શરીર સુખ માણ્યું હતું. ત્યારબાદ, વીડિયો ડિલીટ કરવાના બહાને તેણે યુવતી પાસેથી રોકડા અને સોનાના દાગીના સહિત કુલ રૂ. 10.30 લાખ જેવી મોટી રકમ પડાવી લીધી હતી. ડીંડોલી પોલીસે આ ગંભીર ગુનામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લગ્નની લાલચ આપી દુષ્કર્મ અને પૈસા પડાવ્યા​​​​​​​ચોથો કિસ્સો ભેસ્તાન વિસ્તારમાં સામે આવ્યો છે. અહીં ભેસ્તાનમાં રહેતી એક યુવતીએ કડોદરા ગોકુળધામ સોસાયટીના રહેવાસી વિકાસસિંહ રઘુવંશી સામે ફરિયાદ નોંધાવી છે. પીડિતાના જણાવ્યા મુજબ મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને કડોદરામાં રહેતા વિકાસસિંહ મિથેલેશસિંહ રઘુવંશીએ તેની સાથે પરિચય કેળવ્યો હતો. તેણે યુવતીને લગ્ન કરવાની મીઠી લાલચ આપી અને તેની સાથે અનેકવાર શારીરિક સંબંધ બાંધ્યો. આ સિવાય તેણે યુવતી પાસેથી હાથ ઉછીના પૈસા પણ પડાવી લીધા હતા. આખરે, જ્યારે યુવતીને વિકાસસિંહના ઈરાદા પર શંકા ગઈ અને તેણે લગ્ન માટે દબાણ કર્યું, ત્યારે તે ફરી ગયો હતો. પીડિતાએ ભેસ્તાન પોલીસ સ્ટેશને આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 5:08 pm

નોટોની ગડ્ડી બતાવી છેતરપિંડી કરતી ગેંગના મુખ્ય સૂત્રધારની ધરપકડ:શાક માર્કેટ અને સોસાયટીઓમાં મહિલાઓને નિશાન બનાવતાં, સુરત ચોક બજાર પોલીસે મનોજ બાવરીને દબોચ્યો

સુરતના અલગ અલગ વિસ્તારોમાં નોટોના બંડલ બતાવી વિશ્વાસમાં લઈ સોનાના દાગીના ઉતરાવી છેતરપિંડી કરતી ગેંગના મુખ્ય સૂત્રધારની ચોક બજાર પોલીસે ધરપકડ કરી છે. આ અગાઉ, પોલીસે આ જ ગેંગના એક મહિલા અને બે પુરુષ સભ્યોને ઝડપી પાડ્યા હતા. ગેંગ સોનાના દાગીના પહેરેલી મહિલાઓને નિશાન બનાવતીછેલ્લા કેટલાક સમયથી સુરતના વિવિધ વિસ્તારોમાં ફૂટપાથ પર રહેતી એક ગેંગ સક્રિય હતી. જે સોનાના દાગીના પહેરેલી મહિલાઓને નિશાન બનાવતી હતી. આ ગેંગના સભ્યો, જેમાં એક મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે, નોટોનું બંડલ બતાવી મહિલાઓને વિશ્વાસમાં લેતા અને પછી તેમના સોનાના ઘરેણાં ઉતરાવી ફરાર થઈ જતા હતા. ગેંગના મુખ્ય સૂત્રધાર મનોજ બાવરીની ધરપકડઆ ગેંગનો શિકાર બનેલી એક મહિલાએ ફરિયાદ નોંધાવતા ચોક બજાર પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે આ ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા બાદ તેમની કડક પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન, પોલીસે આ ગુનાનો મુખ્ય સૂત્રધાર મનોજ બાવરી હોવાનું જાણ્યું અને તેની ધરપકડ કરી છે. શાક માર્કેટ અને સોસાયટીઓમાં એકલી જતી-આવતી મહિલાઓને ટાર્ગેટ કરતાપોલીસ પૂછપરછમાં મનોજ બાવરીએ જણાવ્યું કે, તે અને તેની ગેંગના સભ્યો ખાસ કરીને શાક માર્કેટ, ખરીદીના માર્કેટ અને સોસાયટીઓમાં એકલી જતી-આવતી મહિલાઓને ટાર્ગેટ કરતા હતાં. તેઓ મહિલાઓ સાથે વાતચીત શરૂ કરતા અને પછી નોટોની ગડ્ડી બતાવતાં, જેની ઉપર એક સાચી નોટ અને નીચે કાગળની નોટો હોય છે. તેઓ મહિલાને કહેતા કે આ પૈસા કોઈ ચોરી જશે, તેથી તે આ ગડ્ડી પોતાની પાસે રાખે છે. છેતરપિંડી કરીને અન્ય જીલ્લામાં ભાગી જતાં હતાંએકવાર મહિલા વિશ્વાસમાં આવી જાય, પછી તેઓ મહિલાને તેમના સોનાના ઘરેણાં પણ ઉતારી નાખવાનું કહેતા, જેથી તે પણ સુરક્ષિત રહે. આ રીતે તેઓ મહિલાના ઘરેણાં મેળવી છેતરપિંડી કરતા અને ગુનો આચર્યા બાદ અમદાવાદ, અરવલ્લી જેવા અન્ય જિલ્લાઓમાં ભાગી જતા હતા. આરોપીનો ગુનાહિત ઈતિહાસપોલીસના જણાવ્યા અનુસાર, આરોપી મનોજ બાવરી વિરુદ્ધ ભિલોડા, તલોદ અને અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પણ છેતરપિંડીના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. ચોક બજાર પોલીસ આ ગેંગના અન્ય સભ્યો અને તેમના ગુનાહિત ઇતિહાસ અંગે વધુ તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 5:04 pm

રાજકોટના કોંગી કોર્પોરેટરના પતિની દાદાગીરી, VIDEO:શિવાજીનગરના મંદિરમાં તોડફોડ કરી, સોરાણીએ કહ્યું- 'નશાખોરનો અડ્ડો બન્યો હોવાથી લાઈટ-વાયર તોડ્યા'

રાજકોટના પૂર્વ વિપક્ષી નેતા અને કોર્પોરેટર ભાનુબેન સોરાણી અને તેમના પતિ પ્રવિણભાઈ સોરાણીનો દાદાગીરી કરતો એક વીડિયો વાયરલ થતાં રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો છે. આ વીડિયોમાં તેઓ વોર્ડ નં. 15ના શિવાજી નગર વિસ્તારમાં આવેલા બાપા સિતારામના મંદિરમાં તોડફોડ કરતા અને સ્થાનિક રહેવાસીઓ સાથે બબાલ કરતા જોવા મળી રહ્યા છે. જોકે આ મામલે પ્રવીણ સોરાણીએ દિવ્યભાસ્કર સાથે કરેલી વાતચીતમાં એ જગ્યા નશાખોરોનો અડ્ડો બન્યો હોવાથી લાઈટો તોડીને વાયર કઢાવ્યા હોવાનો બચાવ કર્યો હતો. તોડફોડ કરતો અને અપશબ્દ બોલતો સોરાણીનો વીડિયો વાઈરલપ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના ગત રવિવારે મોડી રાત્રે બની હતી. વીડિયોમાં પ્રવિણ સોરાણી પર સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. તેઓ મંદિરમાં તોડફોડ કરતા અને સ્થાનિક લોકોને ધમકાવતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. વીડિયો કોઈ સ્થાનિક વ્યક્તિએ પોતાના મોબાઈલ ફોનમાં ઉતારી લીધો હતો અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. વીડિયોમાં પ્રવિણ સોરાણી 'માર્યો તો માર્યો અને તોડફોડ કરી તો કરી, તારાથી થાય એ કરી લે' તેમ કહેતા પણ સંભળાય છે. પ્રવીણભાઈએ રાત્રિના અચાનક આવી મંદિરમાં તોડફોડ કરી- સ્થાનિકઘટના બાદ સ્થાનિકોએ મીડિયા સમક્ષ આવીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું કે, પ્રવિણભાઈ અચાનક રાત્રે મંદિરે આવ્યા હતા અને તોડફોડ શરૂ કરી દીધી હતી. જ્યારે અમે તેમને રોકવાનો પ્રયાસ કર્યો તો તેણે અમારી સાથે ગાળાગાળી અને મારામારી કરી હતી. સ્થાનિકોએ એમ પણ આક્ષેપ કર્યો છે કે આ દંપતી અગાઉ પણ આવા કૃત્યો કરી ચૂક્યું છે અને તેમનાથી વિસ્તારના લોકો ત્રાસી ગયા છે. તોડફોડ કરી હોવાનો પ્રવીણ સોરાણીએ સ્વીકાર કર્યોઆ મામલે દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં પ્રવીણ સોરાણીએ જણાવ્યું હતું કે, તેમના ઘરની નજીક આવેલા એક મંદિરે રોજ દારૂડિયાઓ, જુગારીઓ અને નશાખોરોનો જમાવડો થાય છે. આ તત્વોના કારણે આસપાસના રહેવાસીઓને ભારે અગવડતા પડી રહી છે. આ સમસ્યાથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હતું. તેમણે કહ્યું કે, જ્યારે રાત્રે હું ઘરે આવતો હતો, ત્યારે મેં જોયું કે આ લોકો મંદિરના ઓઠા હેઠળ દારૂ પી રહ્યા હતા. મેં તરત જ ત્યાંની લાઇટો તોડી નાખી અને GEB વાળાને બોલાવીને બધા વાયર ઉતરાવી નાખ્યા હતા. આ બાબતે સ્થાનિક લોકોએ ગાળાગાળી કરી હોવાનું પૂછતાં પ્રવીણ સોરાણીએ કહ્યું કે, લોકો લાઈટો તોડીને કેમ એવું કરી રહ્યા છો, એમ કહીને ના પાડતા હતા. પણ અમારો ઉદ્દેશ્ય આ બધું બંધ કરવાનો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ સમસ્યા અંગે પોલીસને 50થી વધુ વખત જાણ કરવામાં આવી છે. પોલીસ રાઉન્ડ પણ મારે છે, પરંતુ આખો દિવસ કોઈ પોલીસ અહીં બેસી શકતી નથી, જેને કારણે આવા તત્વો ફરી સક્રિય થઈ જાય છે. પોલીસને વારંવાર રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન કરતા આ પગલું ભરવું પડ્યું- પ્રવીણ સોરાણીઆ રીતે કાયદો હાથમાં લેવો એ યોગ્ય છે ? તેમ પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, આ મામલે વારંવાર રજૂઆતો કરી છે. અને પોલીસ પેટ્રોલિંગ પણ કરે છે પરંતુ આખો દિવસ પોલીસ હોય નહીં એટલે વારંવાર આ પ્રશ્ન થાય છે. આમ રજૂઆતો કરવા છતાં કાયમી ઉકેલ ન મળતા, પોતે આ નિર્ણય લીધો હતો. ઘટના બાદ પોતે મંદિરમાં રહેલો ફોટો પણ પોતાના ઘરે લાવીને પૂજા કરવાનું શરૂ કર્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 5:03 pm

દાહોદમાં પોલીસે વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો:ઉડાર ગામે 6.03 લાખનો મુદ્દામાલ જપ્ત, એક ઝડપાયો, મહિલા સહિત સાત ફરાર

ધાનપુર તાલુકાના ઉડાર ગામે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂની હેરાફેરીના ગેરકાયદેસર રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે એક આરોપીને ઝડપી પાડી, 2.93 લાખના વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે પાંચ મોટરસાયકલ સહિત કુલ 6.03 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઘટનામાં સંડોવાયેલી એક મહિલા સહિત સાત આરોપીઓ ફરાર થયા હોવાથી પોલીસે તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. ગત 17 સપ્ટેમ્બરની રાત્રે ધાનપુર પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે ઉડાર ગામે પેટ્રોલિંગ દરમિયાન પાંચ મોટરસાયકલ પર સવાર શંકાસ્પદ વ્યક્તિઓ જોવા મળ્યા. તેમની મોટરસાયકલ પર કંતાનના થેલાઓમાં ભરેલો માલ જોઈ પોલીસને શંકા ગઈ. જ્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે આરોપીઓએ ઝડપભેર મોટરસાયકલો દોડાવી ભાગવાનો પ્રયાસ કર્યો. પોલીસે હિંમત ન હારતાં ફિલ્મી શૈલીએ પીછો કર્યો, જે દરમિયાન આરોપીઓએ મોટરસાયકલો સ્થળ પર મૂકી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો. પોલીસે એક આરોપી મેહુલ ખીમજી મોહનીયા (રહે. ઉડાર, હોળી ફળિયું, તા. ધાનપુર)ને ઝડપી પાડ્યો. તપાસ દરમિયાન, પોલીસે પાંચ મોટરસાયકલો પરથી કંતાનના થેલાઓમાંથી 1248 વિદેશી દારૂ અને બીયરની બોટલો મળી, જેની કિંમત 2,93,280 રૂપિયા આંકવામાં આવી. આ સાથે પાંચ મોટરસાયકલની કિંમત મળી કુલ 6,03,280 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. પૂછપરછ દરમિયાન મેહુલ મોહનીયાએ કબૂલ્યું કે, આ ગેરકાયદેસર હેરાફેરીમાં અજમલ ખીમજી મોહનીયા, અજમલ નબળા વહોનીયા, બંટી સુરેશ ઉર્ફે સૂર્યા પરમાર, શૈલેષ બામણીયા, જીગર પરમાર (તમામ રહે. ધનાર પાટીયા, તા. ધાનપુર), ચંપાબેન સુરેશ પરમાર (રહે. ધનાર પાટીયા) અને એક અન્ય વ્યક્તિ સંડોવાયેલા છે. આ તમામ આરોપીઓ ફરાર હોવાથી ધાનપુર પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે. ધાનપુર પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી, આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરીના નેટવર્ક પર પોલીસની કડક નજરની જરૂરિયાતને ઉજાગર કરી છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 4:53 pm

મણિપુરના રાજ્યપાલે એનડીડીબીની કામગીરી બિરદાવી:મણિપુર ડેરીએ નવા બ્રાન્ડ નેમ, લોગો અને ઉત્પાદનો લોન્ચ કર્યા, ડેરી ઓક્ટોબરથી આસામ રાઇફલ્સને દૂધ આપશે

મણિપુરના રાજ્યપાલ અજયકુમાર ભલ્લાએ ઇમ્ફાલ સ્થિત રાજભવન ખાતે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી) - આણંદ દ્વારા સંચાલિત મણિપુર મિલ્ક પ્રોડ્યુસર્સ કૉ-ઓપરેટિવ યુનિયન લિ. (મણિપુર ડેરી)ના નવા બ્રાન્ડ નેમ અને લોગોનું અનાવરણ કર્યું હતું. આ લોન્ચિંગથી મણિપુર ડેરીને એક નવી ઓળખ મળી છે. આ પ્રસંગે, રાજ્યપાલે ગાય સ્પેશિયલ મિલ્ક અને હેલ્થ પ્લસ ડબલ ટોન્ડ મિલ્ક જેવી દૂધની નવી વેરાયટીઓ તેમજ પ્રોબાયોટિક દહીં, સ્પેશિયલ લસ્સી અને ગાયના ઘી જેવા મૂલ્યવર્ધિત ડેરી ઉત્પાદનો પણ લોન્ચ કર્યા હતા. તેમણે મણિપુર ડેરી ખાતે એનડીડીબીની ઓટોમેટેડ મિલ્ક કલેક્શન સિસ્ટમ (એએમસીએસ) અને ડેરી ઇઆરપી પ્લેટફોર્મ સહિત અનેક મહત્વપૂર્ણ પહેલનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન પણ કર્યું હતું. રાજ્યપાલ ભલ્લાએ એનડીડીબીના મેનેજમેન્ટ હેઠળ મણિપુરમાં ડેરી વિકાસમાં થયેલી ઝડપી પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે મણિપુર સરકારના એપ્રિલ 2025માં મણિપુર મિલ્ક યુનિયનનું મેનેજમેન્ટ એનડીડીબીને સોંપવાના દૂરંદેશી પગલાને બિરદાવ્યું હતું. તેમણે જણાવ્યું કે ટૂંકા ગાળામાં એનડીડીબીએ અનેક સુધારા કર્યા છે, જેના સારા પરિણામો દેખાઈ રહ્યા છે. એનડીડીબીના ચેરમેન ડૉ. મીનેશ શાહએ મણિપુર મિલ્ક યુનિયનને સહાય કરવા માટે એનડીડીબીની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેમણે માહિતી આપી કે એનડીડીબીએ યુનિયનને સ્થિર કરવામાં મદદ કરવા માટે નાણાકીય અને ટેકનિકલ સહાય પૂરી પાડી છે, જેમાં રીવાઇટલાઇઝિંગ પ્રોમિસિંગ પ્રોડ્યુસર-ઓન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ (આરપીપીઓઆઈ) યોજના હેઠળ રૂ. 3 કરોડની ગ્રાન્ટ અને રૂ. 5 કરોડની વ્યાજ વગરની લોનનો સમાવેશ થાય છે. આ સહાયથી ખેડૂતોના લાંબા સમયથી બાકી લેણાં ચૂકવવામાં, પ્રોસેસિંગ સુવિધાઓને અપગ્રેડ કરવામાં અને કાર્યકારી મૂડી પૂરી પાડવામાં મદદ મળી છે. ડૉ. શાહએ વધુમાં જણાવ્યું હતું કે, એનડીડીબીએ સંચાલન, કામગીરી અને ઉત્પાદનના વૈવિધ્યકરણ પર દેખરેખ રાખવા માટે ઇમ્ફાલમાં વરિષ્ઠ અધિકારીઓની નિમણૂક કરી છે, જેથી યુનિયન વ્યાવસાયિક રીતે વિકાસ સાધી શકે. તેમણે પ્રકાશ પાડ્યો કે એનડીડીબીએ મેનેજમેન્ટ ફી માફ કરી છે અને મણિપુરના અધિકારીઓને આણંદ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં સફળ ડેરીઓની મુલાકાત દ્વારા તાલીમ અને અનુભવ મેળવવા માટેની વ્યવસ્થા કરી છે.ડૉ. મીનેશ શાહએ જાહેરાત કરી કે ઓક્ટોબર 2025 સુધીમાં મણિપુર ડેરી આસામ રાઇફલ્સને દૂધ સપ્લાય કરવાનું શરૂ કરી દેશે. આ પહેલ ડેરીના વિકાસને રાષ્ટ્રસેવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે જોડશે, જેનાથી સશસ્ત્ર દળોને ગુણવત્તાયુક્ત પોષણ મળશે અને ખેડૂતો માટે એક સ્થિર બજાર પણ ઊભું થશે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 4:44 pm

11 ડમ્પરો ગેરકાયદેસર ખનિજ વહન કરતા ઝડપાયા:સુરેન્દ્રનગર-લીંબડી હાઇવે પર ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી

સુરેન્દ્રનગર-લીંબડી હાઇવે પર ગેરકાયદેસર ખનિજ વહન કરતા 11 ડમ્પરોને ઝડપી પાડવામાં આવ્યા છે. ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં રેતી અને બ્લેક ટ્રેપનું વહન કરતા ડમ્પરો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ઝડપાયેલા 11 ડમ્પરો પાસેથી કુલ 22 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. તંત્ર દ્વારા ખનિજ ચોરી અટકાવવા માટે સઘન પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ખનિજ ચોરી પર લગામ કસવા માટે ખાણ ખનીજ વિભાગની ટીમોને સતત સાથે રાખવામાં આવી રહી છે. આ કડક કાર્યવાહીના કારણે ખનિજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 4:30 pm

આણંદમાં સ્વચ્છતા રેલી યોજાઈ:વિદ્યાર્થીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ રાખી સ્વચ્છતાનો સંદેશો આપ્યો, ધારાસભ્યએ નગરજનોને સહયોગ આપવા અનુરોધ કર્યો

રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા - 2025 અભિયાન અંતર્ગત આણંદ શહેરમાં સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર રાખવાના ઉદ્દેશ્યથી આ સ્વચ્છતા પખવાડિયા અભિયાન હાથ ધરાયું છે. આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર એસ.કે. ગરવાલ અને અન્ય મહાનુભાવોએ રેલ્વે ગોદી પાસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી નમન કર્યા બાદ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી રેલવે સ્ટેશન પાસેથી નીકળીને ડી.એન. હાઇસ્કુલ રોડ થઈને કરમસદ આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ સુધી પહોંચી હતી. રેલીમાં વિદ્યાર્થીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ રાખી નગરને સ્વચ્છ રાખો, સ્વચ્છતા ત્યાં પ્રભુતા, સ્વચ્છ શેરી આરોગ્યની દેવી જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઉપરાંત, સ્વચ્છતા કાર્યક્રમમાં સહભાગી બનો જેવા સંદેશાઓ પણ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય યોગેશભાઈ પટેલે નગરજનોને શહેરને સ્વચ્છ રાખવામાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, જાહેર રસ્તાઓ પર કચરો ન નાખતા ડોર-ટુ-ડોર વાહનમાં અથવા સોસાયટીઓ અને દુકાનો પાસે મૂકવામાં આવેલા ડસ્ટબીનમાં કચરો નાખવાથી શહેરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવી શકાય છે. આ સ્વચ્છતા રેલીમાં મનપાના અધિકારી વિભાકર રાવ, અગ્રણી સુનિલભાઈ શાહ, રાજુભાઈ પઢીયાર, મનપાના કર્મચારીઓ, સફાઈ કર્મીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નગરજનો જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 4:28 pm

ભીમાસર હત્યા કેસ:અંજાર પોલીસે આરોપીઓનું ઘટનાસ્થળે રિકન્ટ્રક્શન કરાવ્યું, આડા સંબંધમાં યુવકની હત્યા કરાઈ હતી

અંજાર તાલુકાના ભીમાસર ગામ નજીક થયેલા શ્રમજીવી યુવકની હત્યા કેસમાં પોલીસે ઝડપેલા આરોપીઓનું આજે ઘટનાસ્થળે રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસે ગત 15મીના રોજ થયેલી આ હત્યાનો ભેદ ઉકેલી મૃતકની પત્ની, તેનો પ્રેમી, સોપારી લેનાર અને હત્યામાં મદદગારી કરનાર સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. અંજાર પીઆઇ અજયસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ગુરુવારે બપોરે પોલીસ સ્ટાફ દ્વારા આ કેસના ચાર પુરુષ આરોપીઓને બનાવ સ્થળે લાવવામાં આવ્યા હતા. પોલીસની હાજરીમાં આરોપીઓએ હત્યાનો સમગ્ર ઘટનાક્રમ ફરીથી રજૂ કર્યો હતો. આ સમયે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક અરુણ સાહુની પત્નીને હોટેલ સંચાલક હરાધન સાથે આડા સંબંધ હતા. પતિ અરુણ આ સંબંધોમાં અવરોધરૂપ બનતા, રેખાએ હરાધનને તેની હત્યા કરવા જણાવ્યું હતું. હરાધને તેના મિત્ર આનંદ બરોટને અરુણની હત્યા કરવા માટે રૂપિયા 5 લાખની સોપારી આપી હતી. આનંદે આ માટે તેના મિત્રો ગોપાલ બારોટ અને દિલીપ ભટ્ટીને સાથે રાખીને હત્યાને અંજામ આપ્યો હતો. પોલીસે આ મામલે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી છે અને આરોપીઓને કડક સજા થાય તે માટે પુરાવાઓ એકત્ર કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 4:26 pm

સિંગલ-યુઝ પ્લાસ્ટિક અંગે જાગૃતિનો અનોખો અભ્યાસ:મહુવાની શેઠ એમ. એન. હાઈસ્કૂલ અને એમ. એન. મહેતા ગર્લ્સ હાઈસ્કૂલના 500 વિદ્યાર્થીઓ પર અભ્યાસ કરાયો

ઓક્સફોર્ડ યુનિવર્સિટી, બેંગલુરુની અત્રિ સંસ્થા અને મહુવાના પર્યાવરણ સંરક્ષણ યુવા મંડળના સંયુક્ત ઉપક્રમે મહુવાની શેઠ એમ.એન. હાઈસ્કૂલ અને એમ.એન. મહેતા ગર્લ્સ હાઈસ્કૂલના 500 વિદ્યાર્થીઓ પર સિંગલ-યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ અને તેના પ્રત્યે જાગૃતિનો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ અભ્યાસ જુલાઈ મહિનામાં કરવામાં આવ્યો હતો અને તેના વિગતવાર તારણો ઓક્સફોર્ડ યુનિવર્સિટીને સબમિટ કરવામાં આવ્યા છે. ​અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ અને તારણો​આ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં પ્લાસ્ટિક પ્રદૂષણ, ખાસ કરીને સિંગલ-યુઝ પ્લાસ્ટિકના ઉપયોગથી થતી નકારાત્મક અસરો વિશેની સમજણ અને જાગૃતિનું ઊંડાણપૂર્વક મૂલ્યાંકન કરવાનો હતો. સર્વેના તારણો પરથી સ્પષ્ટ થયું છે કે, પ્લાસ્ટિક પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે શાળા સ્તરે જ શિક્ષણ અને જાગૃતિ ફેલાવવી અત્યંત જરૂરી છે. આ અભ્યાસ દર્શાવે છે કે, યોગ્ય માર્ગદર્શન અને માહિતીથી વિદ્યાર્થીઓ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે સકારાત્મક વલણ અપનાવી શકે છે અને સમાજમાં પરિવર્તન લાવી શકે છે. ​વૈશ્વિક સ્તરે પ્રશંસા​મહુવા ખાતે થયેલી આ પહેલની નોંધ વૈશ્વિક સ્તરે લેવાઈ છે. ઓક્સફોર્ડ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાના સહયોગથી થયેલા આ સંશોધને મહુવાને શિક્ષણ અને પર્યાવરણ જાગૃતિના ક્ષેત્રમાં એક નવી અને અનોખી ઓળખ આપી છે. આ પ્રવૃત્તિ સ્વચ્છ શહેર અને પર્યાવરણ પ્રત્યેના મજબૂત સંદેશનું પ્રતીક બની છે, જે ભવિષ્યમાં આવા અન્ય સંશોધનો અને પહેલ માટે પ્રેરણા પૂરી પાડશે. ​શિક્ષકોનો અમૂલ્ય સહયોગ​આ સમગ્ર અભ્યાસને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય તૌરલબેન મહેતા અને શિક્ષકો ગીતાબેન જેઠવા, હાર્દિક જોશી અને ભરતભાઈ પ્રજાપતિનો અમૂલ્ય સહયોગ મળ્યો હતો. તેમના માર્ગદર્શન અને સક્રિય સહકાર વિના આ સંશોધન કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવું શક્ય ન હતું. આ ટીમવર્કે દર્શાવ્યું છે કે શૈક્ષણિક સંસ્થાઓ અને સ્થાનિક સંસ્થાઓ સાથે મળીને પર્યાવરણીય પડકારોનો સામનો કરી શકે છે. ​આ અભ્યાસ ભવિષ્યમાં પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે અને યુવાનોને પ્રદૂષણ મુક્ત વિશ્વનું નિર્માણ કરવા માટે પ્રેરણા આપશે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 4:25 pm

બનાસકાંઠામાં ભારે વરસાદ બાદ રસ્તાઓની મરામત શરૂ:ક્ષતિગ્રસ્ત માર્ગોને યુદ્ધના ધોરણે ફરી કાર્યરત કરાયા, વાહન ચાલકોને રાહત

બનાસકાંઠા જિલ્લામાં 6 અને 7 સપ્ટેમ્બર, 2025 ના રોજ થયેલા ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓની તાત્કાલિક મરામત કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેર જનતા માટે અવરજવરને સરળ અને સલામત બનાવવાનો છે. રાજ્ય સરકારની સૂચના અનુસાર, બનાસકાંઠા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) પાલનપુર હસ્તકના કાર્યપાલક ઈજનેર અંકિત ચૌધરીના નેતૃત્વમાં કુલ 14 ટીમોને આ મરામત કાર્ય માટે કાર્યરત કરવામાં આવી છે. વરસાદી વિરામ બાદ ડામર પ્લાન્ટ શરૂ કરીને ક્ષતિગ્રસ્ત માર્ગો પર રીસરફેસીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લાના થરાદ, વાવ, સુઇગામ અને ભાભર જેવા તાલુકાઓમાં સતત વરસાદ અને પાણી ભરાવાને કારણે અનેક રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા હતા, જેનાથી યાતાયાત પર આંશિક અસર પડી હતી. તંત્ર દ્વારા આ રસ્તાઓને ઝડપથી દુરસ્ત કરવાના પ્રયાસો સતત ચાલુ છે જેથી નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 4:22 pm

મોદીનાં રોડ શોમાં 30 હજારથી વધુ લોકો જોડાશે:પીએમ કરોડો રૂપિયાનાં એમઓયુ સાથે શિપિંગ ઉદ્યોગ અંગે પોલિસીઓ જાહેર કરશે

આગામી 20 સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર આવી રહ્યા છે, ત્યારે પ્રધાનમંત્રીનાં રોડ શો સહિતના કાર્યક્રમોની વિગતવાર માહિતી ભાવનગર શહેર-જિલ્લા ભાજપે પત્રકાર પરિષદને સંબોધતા આપી હતી. મોદીના કાર્યક્રમને લઈ તૈયારીઓ શરૂલાંબા સમય બાદ ભાવનગરની મુલાકાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યાં છે, ત્યારે છેલ્લા પંદર દિવસથી મોદીની મુલાકાતને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ તૈયારી હાલ અંતિમ ચરણમાં છે. ત્યારે આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરમાં પત્રકાર પરિષદ યોજી વડાપ્રધાન મોદીની મુલાકાત કાર્યક્રમ સહિતની પ્રસ્તાવના અંગે પત્રકારોને અવગત કર્યા હતા. પીએમના રોડ શોમાં સરકારની સિદ્ધિઓ વર્ણવતા ફ્લોટ જોવા મળશેઆ પત્રકાર પરિષદમાં મેયર ભરત બારડ, સાંસદ નિમુબેન બાંભણિયા, ધારાસભ્ય જીતુ વાઘાણી, ધારાસભ્ય સેજલબેન પંડ્યા સહિત શહેર-જિલ્લા ભાજપના પ્રમુખો તથા અન્ય હોદ્દેદારોએ માહિતી આપી હતી. આ પરિષદમાં હોદ્દેદારોએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં ભાવનગર શહેર-જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો જોડાવા થનગની રહ્યા છે. ભવ્ય રોડ શોમાં સરકારની સિદ્ધિઓ વર્ણવતા ફ્લોટ જેમ કે, ઓપરેશન સિંદૂર, જીએસટીમાં રાહત, આત્મનિર્ભર ભારત સહિતના ફ્લોટ રજૂ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 4:20 pm

રાણપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો.:શહેર અને આસપાસના ગામોના 240 દર્દીઓએ લાભ લીધો.

બોટાદ જિલ્લાના રાણપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક નિ:શુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં રાણપુર શહેર અને આસપાસના ગામડાઓમાંથી આવેલા કુલ 240 જેટલા દર્દીઓએ વિવિધ રોગોની તપાસ કરાવી અને સારવારનો લાભ લીધો હતો. કેમ્પમાં બાળરોગ નિષ્ણાત, સ્ત્રી રોગ નિષ્ણાત, આંખના નિષ્ણાત, એનેસ્થેટીસ્ટ, કાન-નાક-ગળાના નિષ્ણાત, ચામડી રોગ નિષ્ણાત, માનસિક રોગ નિષ્ણાત તેમજ દાંત રોગના નિષ્ણાત સહિતના ડોકટરોએ સેવાઓ આપી હતી. આ નિષ્ણાતોએ દર્દીઓની તપાસ કરી તેમને યોગ્ય માર્ગદર્શન અને સારવાર પૂરી પાડી હતી.વિવિધ વિભાગોમાં દર્દીઓની સંખ્યા નીચે મુજબ રહી હતી: આંખ વિભાગમાં 53 દર્દી, સર્જરી વિભાગમાં 11 દર્દી, સ્ત્રી રોગ વિભાગમાં 6 દર્દી, કાન-નાક-ગળા વિભાગમાં 15 દર્દી, ચામડી વિભાગમાં 19 દર્દી, દાંત વિભાગમાં 14 દર્દી, મનોરોગ વિભાગમાં 2 દર્દી અને પીડિયાટ્રિક વિભાગમાં 44 દર્દીઓએ તપાસ કરાવી હતી. મેડિસિન ફિઝિશિયન વિભાગના દર્દીઓની સંખ્યાનો ઉલ્લેખ નથી, પરંતુ કુલ 240 દર્દીઓએ લાભ લીધો હતો.આ કેમ્પની મુલાકાત રાણપુર શહેર ભાજપના આગેવાનોએ લીધી હતી. તેમણે કેમ્પમાં દર્દીઓને કોઈ અગવડ ન પડે તે સુનિશ્ચિત કરવા માટે ધ્યાન આપ્યું હતું. રાણપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડોક્ટર હર્ષભાઈ માધવેનદરભાઈએ માહિતી આપી હતી.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 4:15 pm

ભીમનાથ મંદિરે સવા કરોડ પાર્થેશ્વર શિવલિંગ નિર્માણ શરૂ:મહંતના ધર્મપત્ની ઉમાબાએ લીધો સંકલ્પ, શિવરાત્રીએ પૂજન કરી નદીમાં પધરાવાશે.

ભીમનાથ મહાદેવ મંદિરે વિશ્વશાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય માટે સવા કરોડ પાર્થેશ્વર શિવલિંગ બનાવવાનો મહાસંકલ્પ શરૂ થયો છે. આ પૌરાણિક મંદિરમાં બહેનો દ્વારા આ શિવલિંગ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જે આગામી શિવરાત્રી સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. આ મહાયજ્ઞનું નેતૃત્વ મંદિરના મહંત મહામંડલેશ્વર આશુતોષગીરી બાપુના ધર્મપત્ની ઉમાબા કરી રહ્યા છે. ઉમાબા છેલ્લા ચાર મહિનાથી અનાજનો ત્યાગ કરીને આ અનન્ય ઉપાસનામાં જોડાયેલા છે. તેમના સંકલ્પ મુજબ, તૈયાર થયેલા શિવલિંગોનું શિવરાત્રીએ પૂજન કરી નીલકા નદીમાં પધરાવવામાં આવશે. આ અનુષ્ઠાનનો મુખ્ય હેતુ વિશ્વભરમાં પ્રવર્તતી આરોગ્ય સંકટ, ધનહાનિ અને માનવહાનિ જેવી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી સર્વત્ર સુખ-શાંતિ અને સમૃદ્ધિ સ્થાપિત કરવાનો છે. આ કાર્યમાં મંદિર તથા આસપાસના ગામોની અનેક બહેનો ઉત્સાહભેર જોડાઈ રહી છે, જેઓ પોતાના હાથે પાર્થેશ્વર શિવલિંગ બનાવી ભક્તિભાવથી સમર્પિત કરી રહી છે. ઉમાબાએ સમગ્ર તાલુકા, જિલ્લા અને રાજ્યની બહેનોને આ શુભ કાર્યમાં સહભાગી થવા અને ભક્તિપૂર્વક પાર્થેશ્વર શિવલિંગ બનાવી વિશ્વને દુઃખ, રોગ અને સંકટમાંથી મુક્તિ અપાવવામાં યોગદાન આપવા અપીલ કરી છે. આ પ્રયાસ ધર્મ, શક્તિ અને એકતાનું પ્રેરણાસ્રોત બની રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 4:07 pm

ગ્રામજનોએ હાઇવે ચક્કાજામ કરી પેપર મિલ બંધ કરાવી:કંપનીના પ્રદૂષણથી કંટાળી મહેસાણા-બહુચરાજી હાઈવે બંધ કર્યો, તંત્રએ કંપની બંધનો નિર્ણય લેતા રોષ ઠર્યો

મહેસાણા-બહુચરાજી હાઈવે પર આજે(18 સપ્ટેમ્બર) ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, કારણ કે સામેત્રા ગામ નજીક ચારથી પાંચ ગામના ગ્રામજનોએ ચક્કાજામ કર્યો હતો. આ ચક્કાજામનું મુખ્ય કારણ ટ્વીલાઈટ ક્રાફ્ટ પેપર પ્રા. લિ. નામની પેપર મિલ દ્વારા ફેલાવવામાં આવતું ભયંકર પ્રદૂષણ અને દુર્ગંધ હતી, જેનાથી આસપાસના ગ્રામજનો ભારે પરેશાન હતા.મળતી માહિતી અનુસાર, ગ્રામજનોએ આ પેપર મિલના પ્રદૂષણ અંગે અનેકવાર સ્થાનિક તંત્રને રજૂઆત કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. જેના કારણે આખરે કંટાળીને ગ્રામજનોએ ચક્કાજામનો માર્ગ અપનાવ્યો હતો. ટ્વીલાઈટ ક્રાફ્ટ પેપર પ્રા. લિ. કંપની હંગામી ધોરણે બંધઆ ચક્કાજામના કારણે મહેસાણાથી કાઠિયાવાડ અને કચ્છ તરફ જતા વાહનો લાંબા સમય સુધી ટ્રાફિકમાં અટવાયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને જોતા પ્રાંત અધિકારી, DYSP અને GPCPના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ગ્રામજનો સાથે મંત્રણા કરી હતી. ગ્રામજનોના આક્રોશ અને માંગણીઓને ધ્યાનમાં રાખીને તંત્રએ તાત્કાલિક નિર્ણય લીધો હતો. જ્યાં સુધી કંપનીમાંથી આવતી દુર્ગંધ સંપૂર્ણપણે બંધ ન થાય ત્યાં સુધી ટ્વીલાઈટ ક્રાફ્ટ પેપર પ્રા. લિ. કંપનીને હંગામી ધોરણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. તંત્ર દ્વારા આ નિર્ણયની જાહેરાત થતાં ગ્રામજનોએ ચક્કાજામ ખુલ્લો કર્યો હતો. ફેક્ટરીના કારણે ઘરમાં કોઈ રહી શકતું નથી, બે ગાયો પણ મરી ગઈપૂજા ચૌધરીએ જણાવ્યું કે આ ફેક્ટરીના કારણે અમારા ઘરમાં કોઈ રહી શકતું નથી. અમારી બે ગાયો પણ મરી ગઈ. હું તો આખા ગામ વતી એટલું જ તમને વિનંતી કરું કે આ ફેક્ટરી બંધ કરો. અમારા ગામના કોઈ છોકરાઓ સ્કૂલમાં જઈ શકતા નથી. આખી ફેક્ટરી બંધ કરો, અમારી એટલી જ રિક્વેસ્ટ છે. અમે કલેક્ટર જોડે ગાંધીનગર બે વર્ષથી રિક્વેસ્ટ કરી છે. પણ આનું કોઈ નિવારણ આવતું નથી. તો છેલ્લે જવાબ મારો આટલો જ છે કે ફેક્ટરી બંધ કરાવો. જેથી અમારા બાળકો સ્કૂલમાં જઈ શકે. ગ્રામજનોને હોસ્પિટલ જવું પડી રહ્યું છે. આનાથી તો વોમીટીંગ થઈ રહ્યા છે. આટલી જ તમને રિક્વેસ્ટ છે કે તમે બંધ કરી દો ફેક્ટરી.અમારી એટલી જ માગ છે અમે અગાઉ કલેક્ટર સુધી ગયા પણ કોઈ નિવારણ આવતું નથી. જેથી અમે રોડ પર ચક્કાજામ આંદોલન કર્યું છે. તો ફેક્ટરી બંધ કરાવો એટલી મારી કલેક્ટર સાહેબને વિનંતી. CMO-PMOમાં રજૂઆત કરીગીતાબેન ચૌધરીએ જણાવ્યું કે અમારે બે વર્ષથી સમસ્યા છે અને આજે અમે રસ્તા રોકો આંદોલન કરી રહ્યા છીએ.અમે કલેક્ટર કચેરી બે વર્ષમાં દસ વખત ગયા. એ તો નવા નવા બદલી જાય, તો અમારે નવો નવો એકડો ઘુંટવાનો? અમે સીએમ સાહેબની ઓફિસ ગયા, બે મહિના થયા. અમે પીએમઓની ઓફિસમાં મોદી સાહેબને પણ રજૂઆત કરી છે. કોઈ અધિકારીએ અમારું સાંભળ્યું નથી. જીપીસીબી બોર્ડના અધિકારી આવે છે, તો આવી આવીને તપાસ કરીને ખિસ્સા ભરી દે ફેક્ટરીનો માલિક.એટલે એમના ખિસ્સા ભરી ભરીને જતા રહે. જીપીસીબીના અધિકારી તમે રાજીનામું આપી દો તમે સરકારના પગારથી ધરાતા નથી. ફેક્ટરીના પ્રદૂષણની બે મહિલાના મોતનો આક્ષેપઅમારી માંગણી ફેક્ટરી બંધ કરવાની છે નહીતો અહીંયાથી અમે ખસવાના નથી. આ પરમિશન જેને આપી તે અધિકારી સામે કડક પગલાં લેવા જોઈએ. સરકારને કહો તમે કડક પગલાં લો કોને આ પરમિશન આપી. ફેક્ટરીના પ્રદૂષણની અગાઉ બે દેવીપૂજક મહિલાઓના મૃત્યુ થઈ ગયા હતા, જ્યારે તેઓ રાત્રે ત્યાં રજૂઆત કરવા ગયા તો ફેકટરીવાળાએ તેમને ત્યાંથી કાઢી મુક્યા હતા. GPCBના ધારાધોરણ મુજબ સિસ્ટમ ઈન્સ્ટ્રોલ થશે પછી જ કંપની ચાલું થશે: પ્રાંત અધિકારીપ્રાંત અધિકારી ઉર્વીશભાઈએ જણાવ્યું કે આખરે ગામવાળાની સંમતિથી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા, જીપીસીબીની ટીમ દ્વારા જે ટ્વીલાઈટ કંપનીને જરૂરી સાધન સામગ્રી લગાવવા માટે સૂચના આપવામાં આવી છે, જેના કારણે ગામમાં આવતી દુર્ગંધ બંધ થાય. એ પ્રોસેસ પૂરી કર્યા બાદ કંપની દ્વારા જ્યારે રિપોર્ટ આપવામાં આવશે કે તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે, ત્યારબાદ સંયુક્ત ટીમની વિઝિટ થશે અને કંપની ચાલુ કરવામાં આવશે. હાલ પૂરતી જ્યાં સુધી કંપની ધારાધોરણ મુજબ એની સિસ્ટમ ઇન્સ્ટોલ નથી કરતા, ત્યાં સુધી આપણે હાલ કંપનીને બંધ કરીએ છીએ. ગામવાળા પણ એનાથી સંમત છે અને જ્યારે પણ એની સિસ્ટમ ઇન્સ્ટોલ થઈ જશે, ત્યારબાદ આપણે ફરીથી એની વિઝિટ કરીશું અને યોગ્ય લાગશે જીપીસીબીના ધારા ધોરણ મુજબ, ત્યારે ફરીથી એને ગામની હાજરીમાં આપણે સ્ટાર્ટ કરીશું.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 4:04 pm

પાદરામાં દુષ્કર્મ-હત્યાના આરોપીના ઘરે તોડફોડ:માતા-પિતા ચાણસદમાં પહોંચતાં ગ્રામજનો ઘેરી વળ્યાં, પોલીસે માંડ-માંડ કાબૂમાં લીધાં; ગુજરાતમાં યોગીરાજ લાવવાની માગ કરી

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામે દુષ્કર્મનો આરોપી જય વ્યાસના ઘર પર આજે (18 સપ્ટેમ્બર) ગ્રામજનો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. ગ્રામજનોનું કહેવું છે કે, અવારનવાર આ પ્રકારના કૃત્ય કરે છે જેથી પરિવાર ગામમાં ન જોઈએ. આ હોબાળા બાદ ગામમાં વાતાવરણ તંગદિલી ભર્યું બન્યું હતું. લોકો સાથે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મામલો શાંત પાડ્યો હતો. એક સમય લોકોના હોબાળા અને આરોપીના પરિવાર સામે આક્રોશને લઈ લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. પોલીસે પરિવારને પોલીસ વેનમાં બેસાડી ત્યાંથી રવાના થતાં બાદમાં મામલો શાંત પાડ્યો હતો. આરોપીના પરિજનો ગામમાં પહોંચતા લોકોએ હોબાળો કર્યોપાદરા તાલુકાના ચાણસદ ગામે વર્ષ 2019માં આરોપી જય વ્યાસે ગામની જ એક યુવતીનું દુષ્કર્મ કરી તેને મોતને ઘાટ ઉતારી હતી. આ ચકચારી ઘટનામાં જય વ્યાસને જેલવાસ પણ થયો હતો. આ ઘટના બાદ આરોપીનો પરિવાર ચાણસદ છોડીને વડોદરા શહેરના મકરપુરમાં રહેવાં જતાં રહ્યાં હતાં. બે દિવસ પૂર્વે જ મકરપુરા પોલીસ સ્ટેશનમાં છેડતીનો ગુનો નોંધાયો હતો, જેમાં પોલીસે જયની ધરપકડ કરી હતી. આજે આરોપી જયના માતા-પિતા મકરપુરથી ચાણસદ ગામમાં જતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. જેલમાંથી છૂટ્યા બાદ પણ જય આવા કૃત્યો કરતો હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ તેના ઘર પર તોડફોડ કરી હતી. ગ્રામજનોએ આક્રોશમાં આવી ઘરના બારી-બારણાના કાચ તોડી નાખ્યાચાણસદ ગામે આવેલા જયના પરિવારને ગામમાં ન રહેવા દેવા તેમજ આરોપીને ફાંસીની સજાની માગ કરી હતી. ગ્રામજનોએ આક્રોશમાં આવી ઘરના બારી-બારણાના કાચ તોડીને ઘરનો ઘેરાવો કરી હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતા પાદરા પોલીસ પણ દોડી આવી હતી. આ સમયે ગ્રામજનોએ જય વ્યાસના પરિવારને તેઓને સોંપવાની માગ કરી હતી. ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા કે, જય વ્યાસને તેઓના પરિવારજનો જ પ્રોત્સાહિત કરે છે. જો કે, પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડી જયના પરિવારને લઈને નીકળી ગઈ હતી. ભારે હોબાળાના કારણે ચાણસદ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયુંઆ અંગે પાદરા પોલીસ મથકના પીઆઈ વી. એ. ચારણે જણાવ્યું હતું કે, જય મર્ડર કેસનો જુનો આરોપી છે અને તે જુયેનાઈલ હતો અને તે કોર્ટમાંથી છૂટેલો છે. બાદમાં તે વડોદરામાં છેડતીના ગુનામાં સંડોવાયેલો છે. અગાઉ થયેલી ઘટનામાં પીડિતાના પરિવારજનોમાં આક્રોશ હતો, જેથી તેઓ અહીંયા આવ્યા હતાં અને રોષ વ્યક્ત કર્યો હતો. હાલમાં આ પરિવારને સલામત રીતે બહાર કાઢી પોલીસ મથક લઈ જવામાં આવ્યા છે. વધુમાં કહ્યું કે, ગ્રામજનોની માગ હતી કે આરોપીને ફાંસીની સજા આપવામાં આવે, પરંતુ કાયદાકીય જે કોર્ટ દ્વારા કાર્યવાહી થાય. અમે કહ્યું છે કે, તમે રિ-અપીલ કરો અથવા કેસ ચાલતો હોય તે બાબતે વધુ વિગતો આપી કોર્ટને જે યોગ્ય લાગશે તે કરશે. મને સાત વર્ષ પહેલા પણ ધમકી આપી હતીઃ સ્થાનિક મહિલાઆ અંગે ગામની એક મહિલાએ જણાવ્યું હતું કે, આ જયે મને સાત વર્ષ પહેલા પણ ધમકી આપી હતી. સ્કૂલ જતો હતો, ત્યારે તે મકાનનો ડોરબેલ વગાડી ભાગી જતો હતો, હવે અમારે સુરક્ષા જોઈએ. મેં એક દિવસ તેના ઘરે પહોંચી લાત મારી હતી, ત્યારે મને કહેતો હતો કે, હું તારું ખૂન કરી નાખીશ. તેના માતા-પિતાનો તેના પર અંકુશ નથી. અમારી એકજ માગ છે કે, જયને જે કરવું હોય તે પણ તેના માતા-પિતા અમને આપી દો. મારી દીકરીને મારીનાખી તળાવમાં ફેંકી દીધીઃ પીડિતાની માતાઅગાઉ ગામની દીકરીનું દુષ્કર્મ કરી હત્યા કરનાર આરોપી જય સામે આક્રોશ વ્યક્ત કરતા પીડિતાની માતાએ જણાવ્યું હતું કે, મારી દીકરીને મારી નાખીને તેનું ખૂન કર્યું છે અને તળવામાં ફેકી દીધી હતી. તેને ફાંસીની સજા આપી દો. જામીન પર તે છૂટી જાય છે, કોઈ કોર્ટ કચેરી નહીં, અહીંયા જ ન્યાય થશે. અમારા હવાલે કરી દો. આ લોકો ગામમાં જોઈએ જ નહિઃ સ્થાનિક મહિલાઅન્ય એક મહિલાએ જણાવ્યું હતું કે, જયને ફાંસી આપો, ન્યાય આપો. તેના ઘરને બોલદોઝર ફેરવી દો. ગુજરાતમાં યોગીરાજ લાવવું પડશે. છોકરીઓના રેપ કરે છે, તેને સજા આપો તે ગામમાં જોઈએ જ નહીં.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 4:03 pm

વેરાવળમાં આવતીકાલે વીજ પુરવઠો ખોરવાશે:જાલેશ્વર ફીડરમાં સમારકામ, સવારે 9થી બપોરે 1:30 સુધી અસર

વેરાવળ શહેરના કેટલાક વિસ્તારોમાં આવતીકાલે, શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2025 ના રોજ વીજ પુરવઠો ખોરવાશે. પીજીવીસીએલની પેટા વિભાગ કચેરી દ્વારા 11 કેવી જાલેશ્વર ફીડરમાં સમારકામની કામગીરી હાથ ધરવામાં આવનાર છે, જેના કારણે સવારે 9 વાગ્યાથી બપોરના 1:30 વાગ્યા સુધી વીજળી બંધ રહેશે. આ વીજ કાપ નવરાત્રી મહોત્સવના અનુસંધાને હાથ ધરવામાં આવેલી સમારકામની કામગીરીને કારણે રહેશે. તેનાથી નવા રબારી વાડા, મફતિયા પરા, જાલેશ્વર, સંજય નગર, પ્રજાપતી સોસાયટી અને BSNL ક્વાટર્સ સહિતના વિસ્તારો પ્રભાવિત થશે.પીજીવીસીએલ દ્વારા જણાવાયું છે કે સમારકામ પૂર્ણ થયા બાદ કોઈપણ પૂર્વ સૂચના વિના વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવશે. વીજ ગ્રાહકોને આની નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે.વધુમાં, વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરીના ઇમરજંસી ફોલ્ટ સેન્ટર નંબર 96876 33787 અને 02876 22210 છે. વીજ અકસ્માતનું જોખમ ઘટાડવા માટે પરિવારના સભ્યોની સલામતી હેતુ વીજ સ્થાપન પર યોગ્ય ક્ષમતાની ELCB લગાડવી જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:56 pm

ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં ટોય કોન્ક્લેવ યોજાઈ:વડાપ્રધાનના 75મા જન્મદિને રમકડાં વિજ્ઞાન અને શિક્ષણ પર ચર્ચા

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિનની ઉજવણીના ભાગરૂપે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા ટોય સાયન્સ એન્ડ એજ્યુકેશન કોન્ક્લેવ–2025નું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને દેશમાં સ્વદેશી રમકડાંના નિર્માણ અને આત્મનિર્ભરતા માટે આપેલા સંકલ્પને સાકાર કરવા યુનિવર્સિટીએ રમકડાં વિજ્ઞાન કેન્દ્ર અને બાલભવન વિભાગ સ્થાપ્યા છે.કુલપતિ ડૉ. ટી.એસ. જોષીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં જાણીતા શિક્ષણ સલાહકાર અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલના ડિરેક્ટર અંજુ મુસાફિર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આઈઆઈએમ અમદાવાદના નિવૃત પ્રોફેસર વિજય શેરી ચંદ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે જોડાયા હતા.અંજુ મુસાફિરે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, બાળકોમાં સંસ્કાર સિંચન માટે વેલ્યુ બેઝ્ડ પેડાગેમ્સ (શિક્ષણ આધારિત રમકડાં) વિકસાવવાની જરૂરિયાત છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, બાળક ખેલશે તો ખીલશે, અને બાળકોનો સ્ક્રીન ટાઈમ ઘટાડવા માટે રમકડાં આધારિત પ્રવૃત્તિઓ ઉપયોગી સાબિત થાય છે. પ્રોફેસર વિજય શેરી ચંદે રમકડાં આધારિત શિક્ષણના વ્યાપક દૃષ્ટિકોણ પર શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડ્યું.કુલપતિ ડૉ. ટી.એસ. જોષીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું કે, ભારતને રમકડાં ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા વડાપ્રધાને જે દૃઢ સંકલ્પ કર્યો છે, તે દિશામાં યુનિવર્સિટી ટોય સાયન્સ સેન્ટર મારફતે કાર્યરત છે. તેમણે ઉમેર્યું કે, આજે રજૂ થયેલા શિક્ષણ આધારિત રમકડાંઓને યુનિવર્સિટી તરફથી પેટન્ટ કરાવવા સહાય પૂરી પાડવામાં આવશે.આ અવસરે યુનિવર્સિટીના અધ્યાપક ડૉ. જય ઓઝાએ ભારતીય સંસ્કૃતિમાં રહેલી પ્રાચીન રમતો વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી. ડૉ. વૃંદન જયસ્વાલે આયુર્વેદના દ્રષ્ટિકોણથી બાળવિકાસ માટે ઉપયોગી રમકડાં વિશે વાત કરી, જ્યારે પાયલ રોતે રમકડાં આધારિત શિક્ષણના અમલીકરણના પડકારો રજૂ કર્યા. ભાવેશ પંડ્યાએ પ્રાચીન ભારતીય રમકડાંઓ પર પ્રકાશ પાડ્યો.રાજ્યભરના લગભગ 40 શિક્ષકોએ શિક્ષણ આધારિત ટીએલએમ (Teaching Learning Material) રમકડાંઓની પ્રદર્શની રજૂ કરી હતી, જેને જોઈને હાજર રહેલા શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ પ્રભાવિત થયા. યુનિવર્સિટી આ પ્રદર્શિત રમકડાંઓ પર એક પુસ્તક પ્રકાશિત કરશે અને નવીન રમકડાંઓને પેટન્ટ કરાવવાના પ્રયત્નો કરશે.આ કાર્યક્રમમાં સેન્ટર ઓફ ટોય સાયન્સના નિયામક પ્રોફેસર નિમિષ વસોયાએ સંયોજક તરીકે અને ડૉ. રાજેશ વાંસદડિયાએ સંચાલક તરીકે સફળ કામગીરી સંભાળી હતી.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:54 pm

ચોટીલામાં ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમ ખુલ્લું મુકાયાના 12 દિવસમાં જ બંધ:ફાયર એનઓસી ન મળતા મ્યુઝિયમને તાળા મરાયા, પ્રવાસીઓને ધરમધક્કો થતાં રોષની લાગણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં રૂ.34 કરોડના ખર્ચે બનેલા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના મ્યુઝિયમને મંત્રી મુળુ બેરાના હસ્તે ખુલ્લું મુકાયું હતું, જોકે, ફાયર એનઓસી ન મળતા હાલમાં આ મ્યુઝિયમ બંધ કરાયું છે. દિવ્યભાસ્કર ડિજિટલની ટીમે જ્યારે આ મ્યુઝિયમની મુલાકાત લીધી ત્યારે અહીં ખંભાતી તાળા લાગેલા નજરે પડ્યા હતા. ગત 6 સપ્ટેમ્બરના રોજ પ્રવાસન અને વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરા અને નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, કલેક્ટર અને ડીડીઓની હાજરીમાં આ અધ્યતન સંગ્રહાલયને જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. હાલમાં ગુજરાતભરમાંથી આ મ્યુઝિયમ જોવા આવતા લોકોને ધરમધક્કો થતાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. લાગતા વળગતા તંત્ર દ્વારા આ મ્યુઝિયમ તાકીદે શરુ કરવામાં આવે એવી વ્યાપક માંગ ઉઠી છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા ખાતે 5,000 ચો.મી. પરિસરમાં ઐતિહાસિક જન્મસ્થળ અને આજુબાજુમાં આવેલ સરકારી ઈમારતોને સાંકળીને રૂ.34 કરોડના ખર્ચે ભવ્ય રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય તથા રૂ.5 કરોડના ખર્ચે વિશાળ, સમૃધ્ધ, અદ્યતન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્તકાલયનું નિર્માણ ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. આ અંગે ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણીએ જણાવ્યું હતું કે, કરોડોના ખર્ચે બનેલા આ મ્યુઝિયમને સરકાર દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યા બાદ ફાયર એનઓસી ન મળતા હાલ એ બંધ કરવાની સૂચના આપવામાં આવી છે, ત્યારે સરકાર અને લાગતા વળગતા વિભાગ દ્વારા આ બાબતે તાકીદે યોગ્ય કાર્યવાહી કરી આ મ્યુઝિયમ તાકીદે શરુ કરવામાં આવે તો ગુજરાતભરના લોકો માટે સ્વ. ઝવેરચંદ મેઘાણીના સંસ્મરણો યાદ કરવા અને ભવ્ય ભૂતકાળ વાગોળવાનો અવસર પ્રાપ્ત થઇ શકે. રાજકોટથી ખાસ આ મ્યુઝિયમ જોવા આવેલા રમેશભાઈએ જણાવ્યું હતું કે, રાજકોટથી આજે હું ચોટીલા આવ્યો ત્યારે મને એમ થતું કે, અહીં ઝવેરચંદ મેઘાણીનું નવું મ્યુઝિયમ બન્યું છે, તો હું એ જોઈ આવું, જોકે, અહીં આવ્યો તો અહીં તાળા મારેલા જોવા મળ્યા હતા. મારે અહીં આજે ધરમનો ધક્કો થયો છે. મારે સરકારને એવું કહેવાનું થાય છે કે, મ્યુઝિયમ ખુલ્લું રાખો તો બહારગામથી આવતા લોકોને એ જોવા મળે, અને ફોગટનો ધક્કો નો થાય. આ અંગે પુસ્તકાલયમાં આવેલા સિનિયર સીટીઝન ધરમશીભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, આ મ્યુઝિયમ ખુબ સરસ બનાવ્યું છે, જેનાથી ચોટીલાની પ્રજા અને ગ્રામ્યની પ્રજાને એનો ખુબ લાભ મળશે, પણ હાલમાં અમને એવુ જાણવા મળ્યું છે કે, આ મ્યુઝિયમનું ઉદ્ઘાટન તો થઇ ગયું, હજી એ ખુલ્યું નથી, લોકોને અને પ્રજાને એનો લાભ મળ્યો નથી. એમાં સરકાર તરફથી એનઓસી ન મળવાના કારણે આ બન્યું હોવાનું જાણવા મળ્યું છે, વહેલી તકે એનઓસી મળે અને આ મ્યુઝિયમ શરુ કરવામાં આવે એવો અમારો પ્રજાનો સરકાર પાસે અનુરોધ છે. ઝવેરચંદ મેઘાણી પુસ્તકાલયમાં સરકારી નોકરીની તૈયારી માટે અભ્યાસ અર્થે આવેલા શ્રેયસ પરમારે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના નવ નિર્મિત પુસ્તકાલય અને સામે જ બનેલા ઝવેરચંદ મેઘાણીનું સંગ્રહાલય બનાવીને સરકારે ચોટીલા પંથક માટે ખુબ જ સારુ કામ કર્યું છે, અમે અહીં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે આવીએ છીએ, અને હાલમાં 10-12 યુવાનો એ માટે નિયમિત અહીં આવીએ છીએ. અહીં ઘણા બધા મુલાકાતીઓ પણ અહીં આવે છે, પરંતુ સામેથી બનેલા મ્યુઝિયમમાં હજી ફાયર એનઓસી નથી, એ બાબતે સરકાર અને તંત્ર વહેલી તકે નિવારણ લાવે એવી અમારી રજૂઆત છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:51 pm

50 રૂપિયા માટે મિત્રનો જીવ લીધો:સુરતમાં જન્મદિવસની ઉજવણી માટે ખર્ચ થયેલા ભાગે પડતાં પૈસા માગતા ચપ્પુથી હુમલો કરી પતાવી દીધો, બેની ધરપકડ

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં જન્મદિવસની ઉજવણી માટે થયેલા ખર્ચના માત્ર 50 રૂપિયા માટે મિત્રોએ બીજા મિત્રનો જીવ લીધો હોવાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં જન્મદિવસના ખર્ચમાં ભાગે પડતા પૈસા પાછા માગતા આરોપીએ તેના મિત્ર પર ચપ્પુ વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને બે આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ તપાસ કરી રહી છે. જન્મદિવસની ઉજવણીમાં મિત્રની હત્યામળતી માહિતી અનુસાર, મંગળવારની રાત્રિએ પાંડેસરાના રોકડિયા હનુમાન મંદિર નજીક લક્ષ્મીનગરમાં રહેતો અને જીઆઈડીસીની એક કંપનીમાં કામ કરતો 28 વર્ષીય ભગતસિંહ નરેન્દ્રસિંગ, તેના મિત્ર બિટ્ટુ કાશીનાથ સિંગના જન્મદિવસની ઉજવણીમાં સામેલ થયો હતો. ભગતસિંહ અને તેના મિત્રોએ અલથાણની એક હોટલમાં જઈને પાર્ટી કરવાની યોજના બનાવી હતી. 50 રૂપિયા માગને ગાળાગાળી કરીયોજના મુજબ તેઓ પાંડેસરાના તિરુપતિ પ્લાઝા ખાતે એક પાનના ગલ્લા પાસે ઊભા હતા. આ સમયે અન્ય એક મિત્ર અનિલ રાજભરે જન્મદિવસની પાર્ટીના ખર્ચમાં ભાગરૂપે બિટ્ટુ પાસે માત્ર 50 રૂપિયાની માંગણી કરી હતી. આટલી નાની રકમ માટે બિટ્ટુએ ઉશ્કેરાઈને અનિલ સાથે ગાળાગાળી શરૂ કરી દીધી. આ દલીલ જોતજોતામાં ભયંકર ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી. ચપ્પુ વડે હુમલો કરી પતાવી દીધોડીસીપી નિધિ ઠાકુરે આ ઘટનાની વિગત આપતા જણાવ્યું કે, ઝઘડા દરમિયાન ભગતસિંહે વાતાવરણ શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઉશ્કેરાયેલા બિટ્ટુ અને તેના અન્ય એક મિત્ર ચંદન કરુણાશંકર દુબેએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. આ ઝપાઝપીમાં ભગતસિંહે કારના વાયપરનો ભાગ ચંદનના માથા પર મારી દીધો. આટલું થતાં જ બિટ્ટુએ ગુસ્સામાં આવીને ભગતસિંહ પર ચપ્પુ વડે હુમલો કરી દીધો. તેણે ભગતસિંહની પીઠ પર ઉપરાછાપરી ઘા ઝીંકીને તેને મોતને ઘાટ ઉતારી દીધો. આ ઝપાઝપીમાં અનિલ રાજભરને પણ ચપ્પુના ઘા વાગ્યા હતા, જેના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. બે હત્યારા રીઢા ગુનેગારની ધરપકડઆ ઘટના બાદ મૃતક ભગતસિંહના ભાઈ નાગેન્દ્ર સિંગે તાત્કાલિક પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મૂળ બિહારના બિટ્ટુ કાશીનાથ અવધિયા (ઉ.વ. 23) અને ચંદન કરુણાશંકર દુબે (ઉ.વ. 23)ની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ હત્યારાઓ પૈકી ચંદન દુબે રીઢો ગુનેગાર છે અને તેની વિરુદ્ધ લૂંટ અને મારામારી જેવા ચાર જેટલા ગુનાઓ પહેલેથી જ નોંધાયેલા છે. પરિવારમાં શોકનો માહોલમાત્ર 50 રૂપિયા જેવી નજીવી બાબતે થયેલી આ હત્યાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. ભગતસિંહના પરિવારમાં માતા, ભાઈ-બહેનો અને અન્ય સભ્યો શોકમાં ગરકાવ થઈ ગયા છે. એક નિર્દોષ યુવકનો જીવ માત્ર સામાન્ય વિવાદમાં છીનવાઈ ગયો છે. પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ હત્યા અને હુમલાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:47 pm

વડાપ્રધાન મોદીના 75મા જન્મદિવસની ઉજવણી:અમદાવાદની શાળાના બાળકોએ પ્રોજેક્ટ દ્વારા પાઠવી શુભકામના

અમદાવાદના વિસલપુર સ્થિત શ્રી તલકચંદ ઝબકબા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન અને ટ્વીટરના માધ્યમથી વડાપ્રધાનને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનની સફર અને તેમની કારકિર્દી વિશે વિસ્તૃત જાણકારી પ્રાપ્ત કરી હતી. આ માહિતી તેમણે પોતાના સહપાઠીઓ સાથે પણ વહેંચી હતી, જેનાથી અન્ય વિદ્યાર્થીઓને પણ વડાપ્રધાનના જીવન વિશે જાણવા મળ્યું.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:37 pm

રાધનપુરમાં ખુલ્લી ગટરએ લીધો મહિલાનો જીવ:57 વર્ષીય મહિલાનું મોત, તંત્ર-NHAIની બેદરકારી સામે રોષ

રાધનપુર શહેરમાં તંત્રની બેદરકારીનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. મસાલી રોડ પર આવેલી સરસ્વતી નગર સોસાયટીમાં 57 વર્ષીય નર્મદાબેન બિપિનભાઈ પ્રજાપતિનું ખુલ્લી ગટરમાં પડી જવાથી કરુણ મૃત્યુ થયું છે.સોમવારની સવારે નર્મદાબેન દૂધના પૈસા ચૂકવીને નજીકની દુકાનથી પરત ફરી રહ્યા હતા. તે સમયે નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI) દ્વારા બનાવવામાં આવેલી અને લાંબા સમયથી ખુલ્લી રહેલી ગટરમાં તેઓ અચાનક પડી ગયા હતા. તેમને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું.આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે. સોસાયટીના રહેવાસીઓ અને સ્થાનિક લોકોએ તંત્ર તેમજ હાઈવે ઓથોરિટી પર ગંભીર બેદરકારીનો આક્ષેપ કર્યો છે. તેમની અનેક રજૂઆતો છતાં ખુલ્લા ગટરો ઢાંકવામાં ન આવતા આ દુર્ઘટના બની હોવાનું જણાવાયું છે. નગરસેવક જયાબેન ઠાકોરે જણાવ્યું કે, શહેરવાસીઓ સતત રજૂઆતો કરતા રહ્યા છે, છતાં તંત્રએ કોઈ કાર્યવાહી કરી નથી. તેમણે જવાબદાર અધિકારીઓ સામે ગુનો દાખલ કરવાની માંગ કરી છે. સ્થાનિક લોકો જ્યોતીબેન જોષી અને ગણપત જોષીએ મસાલી રોડ સહિત શહેરના તમામ ખુલ્લા ગટરો તાત્કાલિક બંધ કરવા, જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ કરવા અને મૃતકના પરિવારને વળતર આપવાની માંગણી કરી છે.પ્રજાપતિ પરિવાર ગરીબી રેખા નીચે જીવન જીવી રહ્યો છે. નર્મદાબેનના અચાનક અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પડોશીઓ અને સોસાયટીના રહેવાસીઓએ પણ પરિવારને ન્યાય અને વળતર આપવા તંત્રને અપીલ કરી છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક કાર્યવાહી કરવાની પણ પરિવાર દ્વારા માંગ કરવામાં આવી છે. આ દુર્ઘટના રાધનપુરમાં ખુલ્લી ગટરો અને બેદરકારીના કારણે વધતી જાનહાનિ સામે એક ચેતવણીરૂપ કિસ્સો સાબિત થઈ છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:37 pm

કોંગ્રેસની ખેડૂત અધિકાર યાત્રા:સુરેન્દ્રનગરમાં ખેડૂતોના પ્રશ્નોને લઈ કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને 'ખેડૂત અધિકાર યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.ખેડૂતોના પાક વળતર, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભ, અને પશુપાલકોને પોષણ સમભાવ સહિતની મુખ્ય માંગણીઓ સાથે આ આંદોલન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ખેડૂત આગેવાન વિક્રમભાઈ રબારી સહિત કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે જોડાયા હતા. આ રેલી સુરેન્દ્રનગરના રાજપટલ પાસે આવેલા આંબેડકર ચોકથી શરૂ થઈને કલેક્ટર કચેરી સુધી યોજાઈ હતી. કલેક્ટર કચેરી પાસે પહોંચીને પ્રદર્શનકારીઓએ રસ્તા પર બેસીને ધરણા કર્યા હતા અને સરકાર પર ખેડૂતોનું શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો.આંદોલનકારીઓએ કલેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવીને ખેડૂતોની માંગણીઓ સંતોષવા રજૂઆત કરી હતી. જો આગામી સમયમાં તેમની માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:36 pm

દાહોદના 5 PHCને નવી એમ્બ્યુલન્સ ફાળવાઈ:એસ્પીરેશનલ પ્રોગ્રામ હેઠળ ગ્રામીણ આરોગ્ય સેવાઓને વેગ, માતા-બાળ સ્વાસ્થ્ય પર ધ્યાન

દાહોદ જિલ્લાના પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને નીતિ આયોગના એસ્પીરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ હેઠળ નવી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. આ એમ્બ્યુલન્સનું લોકાર્પણ જિલ્લા કલેક્ટર યોગેશ નીરગુડે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત અને એપિડેમિક મેડિકલ ઓફિસર ડૉ. નયન જોષીએ લીલી ઝંડી આપીને કર્યું હતું.દાહોદ જિલ્લો એસ્પીરેશનલ જિલ્લા તરીકે ઓળખાય છે, જ્યાં આરોગ્ય, શિક્ષણ અને અન્ય વિકાસલક્ષી ક્ષેત્રોમાં કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ ધ્યાન અપાય છે. આ એમ્બ્યુલન્સ ફાળવણીનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાનો, સંસ્થાકીય સુવાવડ વધારવાનો અને આરોગ્ય સેવાઓને વધુ સુલભ બનાવવાનો છે.આ નવી એમ્બ્યુલન્સ રૂપાખેડા (ઝાલોદ), બાંડીબાર (લીમખેડા), જામ્બુઆ અને પાંચવાડા (ગરબાડા), તેમજ કુવાબૈણા (દેવગઢ બારિયા)ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ફાળવવામાં આવી છે. આ વિસ્તારો દુર્ગમ અને આદિવાસી વસ્તી ધરાવતા હોવાથી, આ એમ્બ્યુલન્સ તાત્કાલિક આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં મદદરૂપ થશે. દરેક એમ્બ્યુલન્સમાં સ્ટ્રેચર, ઑક્સિજન અને ઈમરજન્સી કિટ જેવા જરૂરી તબીબી સાધનો ઉપલબ્ધ છે, જે ખાસ કરીને પ્રસૂતિ અને કટોકટીની સેવાઓ માટે ઉપયોગી થશે. આ એમ્બ્યુલન્સની કુલ કિંમત આશરે 75 લાખ રૂપિયા છે, જેમાં પ્રત્યેક એમ્બ્યુલન્સનો ખર્ચ લગભગ 15 લાખ રૂપિયા થાય છે. આ પહેલથી ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ અને નવજાત શિશુઓને તાત્કાલિક આરોગ્ય સેવાઓ મળી રહેશે, જેનાથી આરોગ્ય સેવાઓ વધુ સશક્ત બનશે.આ પ્રસંગે આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નવી એમ્બ્યુલન્સ ગ્રામીણ દાહોદમાં આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને ઝડપમાં નોંધપાત્ર વધારો કરશે તેવી અપેક્ષા છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:35 pm

મોટી ખાવડી શાળામાં કલેકટરની અધ્યક્ષતામાં 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમ:કલેકટરે કહ્યું: સ્વચ્છતા એ જ સ્વભાવના સૂત્રને સાર્થક કરવા પ્રયાસ કરીએ

કલેકટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં જામનગર તાલુકાની મોટી ખાવડી કુમાર શાળા ખાતે 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્વચ્છતાકર્મીઓનું સન્માન કરાયું હતું અને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.મહાનુભાવોના હસ્તે સ્વચ્છતાકર્મીઓને કીટ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, સ્વચ્છતા અંગેના શપથ લેવાયા હતા અને વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા રેલી યોજવામાં આવી હતી. બાદમાં મહાનુભાવોએ શાળા પરિસરની બહારના ભાગમાં સફાઈ કરીને લોકોને પોતાનું ગામ સ્વચ્છ રાખવા અપીલ કરી હતી.કલેકટર કેતન ઠક્કરે જણાવ્યું હતું કે, સ્વચ્છતા એ જ સ્વભાવ ના સૂત્રને સાર્થક કરવા આપણે સૌએ પ્રયાસ કરવો જોઈએ. તેમણે ગામમાં કચરો ન ફેલાવી ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન વાહનોમાં કચરો નાખવા અને ઘરમાં પણ ભીનો અને સૂકો કચરો અલગ રાખવા પર ભાર મૂક્યો હતો. આનાથી વાતાવરણ સ્વચ્છ રહેશે અને પ્રદૂષણથી ફેલાતા રોગો અટકાવી શકાશે.કલેકટરે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીજીના સ્વચ્છતા પ્રત્યેના આગ્રહને ધ્યાનમાં રાખીને દેશવ્યાપી સ્વચ્છતા અભિયાન શરૂ કરાવ્યું છે, જેમાં સૌએ સહભાગી થઈ ભારતને સ્વચ્છ રાષ્ટ્ર બનાવવું જોઈએ. આ કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીની શાલિની દ્વારા સ્વચ્છતા વિશે વિશેષ વક્તવ્ય આપવામાં આવ્યું હતું, જેની જાગૃતતા જોઈ કલેકટરે તેણીનું પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું.કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નું અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ દ્વારા પણ સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન દુધાગરા, જિલ્લા પંચાયતના સદસ્ય વિઠ્ઠલભાઈ કણજારીયા સહિતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચ મોરી, તાલુકા વિકાસ અધિકારી એ.બી.જોશી, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:33 pm

જૈન સોશ્યલ ગ્રૂપ સુરેન્દ્રનગર દ્વારા દુર્ગા રાત્રિ 2025નું આયોજન:સિલ્વર પરિવારે સંસ્કૃતિ અને ભક્તિનો મહોત્સવ ઉજવ્યો

જૈન સોશ્યલ ગ્રૂપ સુરેન્દ્રનગર સિલ્વર પરિવાર દ્વારા દુર્ગા રાત્રિ – 2025નું આયોજન કરવામાં આવ્યું. નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે આ કાર્યક્રમ સંસ્કૃતિ અને ભક્તિના સંગમરૂપે યોજાયો હતો.આ આયોજનમાં ખેલૈયાઓએ માતા દુર્ગાની ભક્તિમાં લીન થઈ પરંપરાગત વેશભૂષામાં ગરબે રમ્યા. સંગીતના સુરો સાથે આધ્યાત્મિકતા અને લોકસંસ્કૃતિના રંગો આ કાર્યક્રમમાં જોવા મળ્યા.કાર્યક્રમમાં સુંદર સજાવટ, સેલ્ફી પોઈન્ટ અને પ્રોફેશનલ ફોટોગ્રાફી જેવા વિશેષ આકર્ષણો પણ ઉપલબ્ધ હતા.દુર્ગા રાત્રિ – 2025 એક સાંસ્કૃતિક કાર્યક્રમ ઉપરાંત ભક્તિ, પરંપરા અને સંસ્કૃતિને જોડતા મહોત્સવ તરીકે સફળ રહ્યો.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:32 pm

વડોદરામાં વિશ્વકર્મા પૂજન દિવસની ઉજવણી:ખોડીયાર નગરના મંદિરમાં વિશ્વકર્મા સમાજ દ્વારા વિશેષ પૂજા કરાઈ

વડોદરાના ખોડીયાર નગર, ન્યુ કારેલીબાગ સ્થિત શ્રી વિશ્વકર્મા મંદિરમાં ૧૭ સપ્ટેમ્બરના રોજ શ્રી વિશ્વકર્મા પૂજન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શ્રી વિશ્વકર્મા સમાજ વડોદરા દ્વારા આ વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ઉજવણી અંતર્ગત સવારથી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તો દ્વારા રામ ચરિત્ર માનસ પાઠ, ભજન-કીર્તન અને શ્રી વિશ્વકર્મા ભગવાનનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન કરાયું હતું, જેમાં ભક્તો ભાવવિભોર બન્યા હતા.સાંજે સમાજના તેમજ ખોડીયાર નગર વિસ્તારના ધાર્મિક ભક્તો માટે વિશેષ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદનો લાભ લઈને અને શ્રી વિશ્વકર્મા પૂજાનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.દર વર્ષે કન્યા સંક્રાંતિના દિવસે ભગવાન વિશ્વકર્મા પૂજન દિવસ ઉજવવામાં આવે છે. કન્યા સંક્રાંતિ એટલે સૂર્યનો સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં પ્રવેશ. સૂર્યના આ રાશિ પરિવર્તનને સંક્રાંતિ કહેવાય છે, અને આ દિવસ વિશ્વકર્મા પૂજન દિવસ તરીકે ઓળખાય છે. ભગવાન વિશ્વકર્માને દેવતાઓના શિલ્પકાર માનવામાં આવે છે. તેમના પૂજન દિવસે યંત્ર, સાધનો અને વાહનોની પૂજા કરવામાં આવે છે. મશીનરી, સાધનો, વાહનો વગેરે ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો માટે આ એક મોટો તહેવાર છે. આ દિવસે કારીગર વર્ગ પોતાનું રોજનું કામ બંધ રાખીને ભક્તિભાવથી પૂજા, હવન અને ભજન દ્વારા વિશેષ પૂજન કરે છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:32 pm

પાટણમાં કોમર્શિયલ ગરબા મહોત્સવની મંજૂરી પેન્ડિંગ:ત્રણ આયોજકોની અરજીઓ પર અધિકારીઓનો અભિપ્રાય હજુ બાકી

નવરાત્રિના પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શેરી ગરબાની સાથે કોમર્શિયલ ધોરણે યોજાતા નવરાત્રિ મહોત્સવોની પણ તૈયારીઓ ચાલી રહી છે. જોકે, વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી એક પણ કોમર્શિયલ ગરબા આયોજકને મંજૂરી આપવામાં આવી નથી. આગામી 22મી સપ્ટેમ્બરથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. શહેરના બજારોમાં ચણીયાચોળી, કેડીયુ, મોજડી અને ટ્રેડિશનલ કપડાં સહિતની નવરાત્રિ સંબંધિત ચીજવસ્તુઓનું વેચાણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મહોલ્લા, પોળો અને સોસાયટીઓમાં પણ આયોજકો દ્વારા ચાચર ચોકને સજાવવાની તૈયારીઓ ચાલી રહી છે. પાટણ શહેરમાં કોમર્શિયલ ધોરણે ગરબા મહોત્સવ યોજવા માટે ત્રણ અરજીઓ પ્રાંત કચેરીમાં આવી છે. પટેલ હર્ષ દ્વારા ખોડા ભા હોલ ખાતે 'હેરિટેજ ગરબા' માટે, ભાવેશકુમાર બિપીનચંદ્ર ત્રિવેદી દ્વારા માધવ ફાર્મ ખાતે 'બોલિવૂડ ધમાલ' માટે અને શિવમ જે. પટેલ દ્વારા પાંજરાપોળ મેદાન ખાતે રોટરેક્ટ ક્લબ આયોજિત 'રણકાર ગરબા' માટે મંજૂરી માંગવામાં આવી છે. પ્રાંત અધિકારીની મંજૂરી માટે આવેલી આ અરજીઓ પર વિવિધ વિભાગોના અભિપ્રાયો લેવામાં આવી રહ્યા છે. જેમાં લાઉડસ્પીકર અને અન્ય વ્યવસ્થા માટે મામલતદાર, કાયદો અને વ્યવસ્થા માટે સ્થાનિક પોલીસ મથકના પીઆઈ, ફાયર સેફ્ટી માટે નગરપાલિકાના ફાયર વિભાગની NOC, તેમજ સ્ટેજ અને સુવિધાઓ માટે RBના મિકેનિકલ અને UGVCL સહિતના સંબંધિત તંત્રના અભિપ્રાયો મેળવવામાં આવશે. પ્રાંત કચેરી દ્વારા જણાવાયું છે કે તમામ વિભાગોના અભિપ્રાયો આવ્યા બાદ જ ગરબાની પરવાનગી આપવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:31 pm

ધાંગધ્રા MLA અને સદસ્ય રજૂઆત છોડી જતા વીડિયો વાયરલ:ચરાડવા ગામમાં બિસ્માર રસ્તા મુદ્દે ગ્રામજનોના રોષનો સામનો કર્યો

ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને જિલ્લા પંચાયતના સદસ્યનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં તેઓ ચરાડવા ગામમાં બિસ્માર રસ્તાઓની રજૂઆત દરમિયાન ગ્રામજનોનો રોષ જોઈને સ્થળ છોડી જતા જોવા મળે છે.ચરાડવા ગામમાં સરકારી હોસ્પિટલ સુધી પહોંચવાનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. આ ગંભીર સમસ્યા અંગે ગામના જાગૃત નાગરિકોએ ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરી હતી.જોકે, સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે, ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના સદસ્યએ ગ્રામજનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો અને તેમના પર ખોટા આક્ષેપો કર્યા હોવાનો આરોપ છે.ગ્રામજનોનો વધતો રોષ જોઈને ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના સદસ્યોએ રજૂઆત અધૂરી છોડીને ચાલતી પકડી હતી. લોકોની રજૂઆત સાંભળ્યા વિના જ તેઓ જતા રહેતા સ્થાનિકોમાં વધુ નારાજગી જોવા મળી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં ભાજપના ધારાસભ્યની કામગીરી પર સોશિયલ મીડિયામાં ચર્ચાઓ શરૂ થઈ છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:30 pm

પૂર્વ કચ્છ પોલીસ વડાએ બાલાસર પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ કર્યું:સરહદી વિસ્તારમાં સુરક્ષા સમીક્ષા, લોક સંવાદ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમાર દ્વારા રાપર તાલુકાના સરહદી વિસ્તારમાં આવેલા બાલાસર પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, બાલાસર-સાંતલપુર રોડ પર નવનિર્મિત આધુનિક પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ જરૂરી સૂચનો કરાયા હતા.નિરીક્ષણ કાર્યક્રમમાં પોલીસ પરેડ યોજાઈ હતી. પોલીસ કર્મચારીઓના પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ લાવવા સૂચના અપાઈ હતી. આ ઉપરાંત, નોટ રીડિંગ, ક્રાઈમ સંબંધિત વિગતો અને અન્ય જરૂરી માહિતી મેળવી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ વાર્ષિક નિરીક્ષણના ભાગરૂપે, બોર્ડર વિસ્તાર ધરાવતા બાલાસર પોલીસ સ્ટેશન હેઠળના માનાણીવાંઢ ગામે સરહદી ગામોના સરપંચો અને આગેવાનો સાથે લોક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગામના આગેવાનો દ્વારા પોલીસવડા સાગર બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા સહિતના અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. લોક સંવાદ દરમિયાન, પોલીસ વડા સાગર બાગમારે ઉપસ્થિત સરહદી ગામના લોકોને સાવચેતી રાખવા જણાવ્યું હતું. તેમણે અજાણ્યા લોકો અંગે સ્થાનિક પોલીસને જાણ કરવા, દરેક મહત્વના સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવવા અને સાયબર ક્રાઈમ અંગે જાગૃત રહેવા સમજણ આપી હતી.આ વાર્ષિક નિરીક્ષણ અને કાર્યક્રમોમાં પોલીસ વડા સાગર બાગમાર, ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા, રીડર પીઆઈ એમ.એમ. ઝાલા, એસપીના પીએ ખીમજીભાઈ ફફલ, બાલાસર પીએસઆઈ વી.એ. ઝા સહિત બાલાસર પોલીસ સ્ટેશનનો સ્ટાફ, સરપંચો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:29 pm

અમરેલીમાં ડુંગળીના પાકને રોગનો ભરડો:સુકારો અને બાફિયાથી ખેડૂતોને મોટું નુકસાન, બચાવવાના પ્રયાસો નિષ્ફળ

અમરેલી જિલ્લામાં ડુંગળીના પાકને સુકારો અને બાફિયા નામના રોગે ભરડો લીધો છે. છેલ્લા ત્રણ વર્ષથી કપાસ અને મગફળીની સાથે ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતો આ રોગચાળાને કારણે મુશ્કેલીમાં મુકાયા છે, જેનાથી તેમને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.જિલ્લાના ખેડૂતો પરંપરાગત રીતે કપાસ અને મગફળીનું વાવેતર વધુ કરતા હતા. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી ડુંગળીના સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો ધીમે ધીમે ડુંગળીના વાવેતર તરફ વળ્યા છે. પરંતુ, આ વર્ષે ડુંગળીના પાકમાં સુકારો અને બાફિયા જેવા રોગોનો પ્રકોપ જોવા મળ્યો છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. વરસાદની મોસમ અને વાતાવરણમાં ભેજનું ઊંચું પ્રમાણ આ રોગો માટે જવાબદાર માનવામાં આવે છે. વહેલી સવારે પડતા ઝાકળને કારણે ડુંગળીના છોડમાં સુકારો અને બાફિયાનો રોગ ફેલાયો છે. સુકારાના કારણે છોડ ધીમે ધીમે સુકાઈ જાય છે. ખેડૂતો પાકને બચાવવા માટે સઘન પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ પાક બચવાની શક્યતા ઓછી હોવાનું તેઓ જણાવી રહ્યા છે.સ્થાનિક ખેડૂત મહેશભાઈએ જણાવ્યું કે, તેમણે 5 વીઘા જમીનમાં ડુંગળીનું વાવેતર કર્યું છે, જેમાં સુકારો અને બાફિયાનો રોગ લાગુ પડ્યો છે. દવાઓ અને ખાતરનો ઉપયોગ કરવા છતાં રોગ નિયંત્રણમાં આવતો નથી. સવારે ઝાકળ અને દિવસના તડકાને કારણે પાંદડા બળી રહ્યા છે અને પાક બચવાની આશા નથી. અન્ય ખેડૂત જયંતિભાઈએ પણ 7 વીઘામાં વાવેતર કરેલી ડુંગળીના પાકમાં સમાન સમસ્યા જણાવી. તેમણે કહ્યું કે, દવાઓ છાંટવા છતાં પાક બચવાની કોઈ શક્યતા નથી, અને સવારના ઝાકળને આનું મુખ્ય કારણ ગણાવ્યું.ખેડૂતોએ મોંઘા બિયારણ, મજૂરી અને દવાઓ પાછળ મોટો ખર્ચ કર્યો છે. જો પાક નિષ્ફળ જશે તો તેમની મહેનત અને રોકાણ એળે જશે તેવી ભીતિ છે, જેના કારણે તેમને આર્થિક નુકસાન વેઠવું પડશે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:28 pm

છોટા ઉદેપુર જનરલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના ધજાગરાં:એકપણ ફાયર સિસ્ટમ ચાલુ હાલત ન હતી; ફાયર વિભાગે તપાસ કરતાં હોસ્પિટલની બેદરકારી સામે આવી

છોટા ઉદેપુર જિલ્લાની સૌથી મોટી જનરલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની તમામ સિસ્ટમ બંધ હાલતમાં મળી આવી છે. ફાયર વિભાગ દ્વારા હાથ ધરાયેલી ચકાસણીમાં આ ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેના કારણે દર્દીઓની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ફાયર વિભાગે હોસ્પિટલના ICU, સ્ત્રી પ્રસુતિ વિભાગ સહિતના મહત્વના વિસ્તારોમાં ફાયર એલાર્મ સિસ્ટમ અને અન્ય ફાયર સિસ્ટમનું ચેકિંગ કર્યું હતું. આ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ફાયર સિસ્ટમનું લાંબા સમયથી કોઈ મેન્ટેનન્સ કરવામાં આવ્યું નથી.આ ઉપરાંત, ફાયર એક્સ્ટિંગ્વિશરની બોટલો પણ રિન્યુ કરવાની બાકી હતી. નિરીક્ષણ દરમિયાન એ પણ જણાઈ આવ્યું કે હોસ્પિટલમાં ફાયર એક્ઝિટના સાઇન બોર્ડ પણ લગાવવામાં આવ્યા ન હતા. ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર, હાલમાં જનરલ હોસ્પિટલમાં કોઈ પણ અકસ્માત બને તો એકપણ ફાયર સિસ્ટમ કાર્યરત નથી. આ સ્થિતિ હોસ્પિટલની ફાયર સેફ્ટી વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કરે છે અને દર્દીઓની સુરક્ષા જોખમમાં મૂકે છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:27 pm

નવસારીમાં સતત બીજા દિવસે વરસાદ:નવરાત્રીમાં ભારે વરસાદની આગાહી, ખેલૈયાઓની મજા બગડવાની સંભાવના

નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે મેઘમહેર જોવા મળી છે. વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેના પગલે જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. પવન સાથે વરસેલા વરસાદથી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડક પ્રસરી હતી. આ વરસાદના કારણે બાગાયતી વિસ્તારમાં ચીકુ પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આગામી નવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને વરસાદે આયોજકો અને ખેલૈયાઓની ચિંતા વધારી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, નવરાત્રી દરમિયાન ભારે વરસાદ પડવાની સંભાવના છે, જે ખેલૈયાઓની મજા બગાડી શકે છે. જોકે, ઇન્ડોર નવરાત્રીના આયોજકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:26 pm

અણદાભાઈ પટેલે બનાસડેરી ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી:થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અને સહકારી આગેવાન છે

બનાસડેરીની ચૂંટણીને લઈને અણદાભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી છે. તેમણે કાંકરેજના શિહોરી મામલતદાર કચેરીએ પોતાના સમર્થકો સાથે ફોર્મ ભર્યું હતું. અણદાભાઈ પટેલ થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અને સહકારી આગેવાન તરીકે જાણીતા છે. બનાસ ડેરીના 16 ડિરેક્ટરો માટે 10 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે. મતગણતરી 11 ઓક્ટોબરે હાથ ધરાશે. ઉમેદવારો 22 સપ્ટેમ્બર સુધી પોતાના ફોર્મ રજૂ કરી શકશે અને 29 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. બનાસકાંઠા જિલ્લામાં સહકારી માળખાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીને લઈ સહકારી માળખામાં ગરમાવો જોવા મળી રહ્યો છે. અણદાભાઈ પટેલે જણાવ્યું કે તેમણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને પક્ષના અનુશાસનમાં રહીને ચૂંટણી લડવા માટે ફોર્મ ભર્યું છે. તેમણે ઉમેર્યું કે તેઓ વર્ષોથી ભાજપનું કામ કરી રહ્યા છે અને કરતા રહેશે. તેમણે બનાસ ડેરીના ડિરેક્ટર તરીકે ઘણા વર્ષોથી કામ કર્યું છે અને પશુપાલકો માટે પ્રયત્નો કર્યા છે. તેમણે પશ્ચિમ વિસ્તારમાં બનાસ ડેરીનું સંકુલ બને તેવી રજૂઆત કરી હતી, જેના પરિણામે સણાદર ખાતે મોટો ડેરી પ્લાન્ટ સ્થપાયો અને અનેક લોકોને રોજગારીની તકો મળી. તેઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આ રીતે કામ કરતા રહેશે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:26 pm

નખત્રાણા હાઇવે પર મોટા વાહનોનો પ્રવેશ:કલેક્ટરના જાહેરનામાનો ભંગ, પદયાત્રીઓની સલામતી જોખમમાં

નખત્રાણા હાઇવે પર જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ થઈ રહ્યો છે. 18 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં, ભારે વાહનો પસાર થઈ રહ્યા છે, જેના કારણે પદયાત્રીઓની સલામતી જોખમમાં મુકાઈ છે.માતાના મઢ તરફ પદયાત્રીઓનો પ્રવાહ સતત વધી રહ્યો છે. આ સ્થિતિમાં, કંપનીઓના મોટા વાહનો અને તોતિંગ આઈવા જેવા ભારે વાહનો હાઇવે પરથી પસાર થતા જોવા મળી રહ્યા છે. આ વાહનો અકસ્માતનું કારણ બની શકે છે.સ્થાનિક લોકો દ્વારા જાહેરનામાની કડક અમલવારી કરવાની માંગ ઉઠી છે. જિલ્લા પોલીસે વિવિધ વળાંકવાળા વિસ્તારોમાં બેરિકેડ લગાવીને આવા મોટા વાહનોને રોકવા જોઈએ, જેથી યાત્રિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:25 pm

મોટરસાયકલ ચોર ટોળકી ઝડપાઈ:જામજોધપુર પોલીસે લાખોના મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડ્યા

જામજોધપુર પોલીસે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં મોટરસાયકલ ચોરી કરતી એક ટોળકીને ઝડપી પાડી છે. આ ઓપરેશનમાં લાખો રૂપિયાના ચોરાયેલા મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવાના અભિયાનના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની અને મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભાલાલપુરના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જામજોધપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એસ. રબારીએ તેમના સ્ટાફને જરૂરી સૂચનો આપ્યા હતા. પોલીસને મળેલી બાતમીના આધારે, પોલીસે જામજોધપુર નજીક ગાય સર્કલ પાસે કોર્ડન ગોઠવી હતી. આરોપીઓ વિજય ઉર્ફે ડીગ્રી કાનજીભાઈ વિરજીભાઈ સાડમીયા, અને રામકુ ઉર્ફે રામકો કાળુભાઈ વાઘેલાને ચોરાયેલી મોટરસાયકલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. તેઓ પાટણ જંગલ વિસ્તારમાંથી જામજોધપુર તરફ જઈ રહ્યા હતા. વધુ તપાસમાં બહાર આવ્યું કે, આ બંને આરોપીઓ અને તેમના અન્ય સાથીદારો મોરબી, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ અને જામનગર જિલ્લાઓમાં બાઇક ચોરી, લૂંટ, ધાડ, અપહરણ અને પ્રોહિબિશનના અનેક ગુનાઓમાં સંડોવાયેલા હતા. પોલીસે કુલ 4 વણશોધાયેલા મોટરસાયકલ ચોરીના ગુનાઓ ઉકેલ્યા છે. વિવિધ સ્થળોએથી ઝાડી-ઝાંખરા અને પાણીના વોકળામાંથી કુલ રૂ. 1,15,000 નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. ઉકેલાયેલા ગુનાઓમાં જામજોધપુર, જસદણ, મોરબી સિટી એ ડિવિઝન અને ભેસાણનો સમાવેશ થાય છે. આરોપીઓની ગુનો કરવાની પદ્ધતિ (MO) એવી હતી કે, તેઓ મજૂરી કામના બહાને બળદગાડા અને બકરા સાથે ગામડાઓમાં પડાવ નાખતા હતા. આસપાસના ગામોમાં રેકી કરીને મોટરસાયકલ ચોરી કરતા અને તેને જંગલ વિસ્તાર, ઝાડી-ઝાંખરા અથવા પાણીના વોકળામાં સંતાડી દેતા હતા. દસથી પંદર દિવસ પછી, તેઓ ચોરાયેલો મુદ્દામાલ કાઢીને વેચી દેતા હતા. આરોપીઓ પાસેથી કબ્જે કરેલ મુદામાલ:-હિરો કંપનીનું કાળા કલરનું સ્પલેન્ડર મો.સા, હિરો હોન્ડા કંપનીનું કાળા કલરનું સી.ડી.ડીલક્ષ, હિરો કંપનીનું કાળા કલરનું સ્પલેન્ડર મો.સા., હિરો કંપનીનુ કાળા તથા લાલ કલરનુ પેશન પકડાયેલ આરોપીવિજયભાઇ ઉર્ફે ડીગ્રી કાનજીભાઈ વિરજીભાઈ સાડમીયા ઉ.વ.22 ધંધો મજુરી હાલ રહે. શિવરાજપુર તા.જસદણ જી.રાજકોટ મુળ રહે. ખારસીયા ગામ તા.ગોંડલ જી.રાજકોટરામકુ ઉર્ફે રામકો કાળુભાઇ વાઘેલા ઉ.વ.20 ધંધો મજુરી રહે. સનાળી ગામ તા.વડીયા જી.અમરેલી પકડવાના બાકી આરોપીઓ:-અક્ષય ઉર્ફે બુઢીયો ઉર્ફે કાજુ કાળુભાઇ વાઘેલા ધંધો મજુરી રહે. સનાળી ગામ તા.વડીયા જી.અમરેલી, રોહીત કવુભાઇ જખાણીયા રહે. ઢેઢુકી ગામ તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:17 pm

દાહોદમાં જજ બની ગેરલાભ ઉઠાવવાનો પ્રયાસ:બનાસકાંઠાનો યુવક સુરતથી ઝડપાયો, 10 દિવસના રિમાન્ડ મંજૂર

દાહોદ જિલ્લાના ડોકી ખાતે એક યુવકે પોતાને જજ તરીકે ઓળખાવી પેટ્રોલ પંપના માલિકને ગેરલાભ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના 12 સપ્ટેમ્બરના રોજ બની હતી. પોલીસે ટેકનિકલ તપાસ અને હ્યુમન સોર્સના આધારે બનાસકાંઠાના અલ્પેશ ગલ્ચરને સુરતના ગ્રામ્ય વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. દાહોદની કોર્ટે આરોપીના 10 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. ઘટનાની વિગતો મુજબ, 12 સપ્ટેમ્બરે અલ્પેશ ગલ્ચર ડોકીના એક પેટ્રોલ પંપ પર પહોંચ્યો હતો. તેણે પોતાને વાઘેલા જજ તરીકે રજૂ કર્યો અને પંપના માલિક વિશે પૂછપરછ કરી. તેણે માલિકનો કેસ પોતાના હાથમાં હોવાનો અને ફાયદો કરાવી આપવાનો દાવો કરીને રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો.પેટ્રોલ પંપના કર્મચારીઓએ સતર્કતા દાખવી માલિકને જાણ કરી. તપાસ કરતાં જાણવા મળ્યું કે આ વ્યક્તિ જજ નહોતો. આથી, દાહોદ ગ્રામ્ય પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી. પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીની ઓળખ બનાસકાંઠાના આસારાવાસ ગામના અલ્પેશ ગલ્ચર તરીકે કરી. તે સુરતના ગ્રામ્ય વિસ્તારમાં છુપાયેલો હતો, જ્યાંથી દાહોદ પોલીસે તેની ધરપકડ કરી.પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. અલ્પેશના મોબાઈલ અને ઇન્સ્ટાગ્રામ આઈડીની તપાસમાં સામે આવ્યું કે તેણે અગાઉ પણ અનેક લોકોને વકીલ કે સરકારી અધિકારી હોવાની ખોટી ઓળખ આપી હતી. તે લોકોને પોતાની વાતોમાં ફસાવી, વિશ્વાસ જીતીને ગેરલાભ ઉઠાવવાનો પ્રયાસ કરતો હતો.આરોપીને દાહોદની કોર્ટમાં રજૂ કરાતાં તેના 10 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર થયા છે. હાલ પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, જેમાં અલ્પેશે અગાઉ કઈ-કઈ જગ્યાએ અને કયા ગેરલાભ મેળવ્યા તેની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. આ તપાસમાં વધુ ખુલાસા થવાની સંભાવના છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:15 pm

ગાંધીનગરમાં ભાજપની મેગા બેઠક:'આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન' પર મંથન, મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ ઉપસ્થિત

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા આજે 18 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરમાં એક મેગા બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠક પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના નેતૃત્વમાં યોજાઈ રહી છે, જેમાં રાજ્યભરમાં ચાલનારા 'આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન' પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે. આ અભિયાન આગામી 25 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર સુધી ચાલશે અને તેનો મુખ્ય ઉદ્દેશ આત્મનિર્ભર ભારતના સંકલ્પને જન-જન સુધી પહોંચાડવાનો છે. બેઠકમાં નેતાઓ અને પદાધિકારીઓ હાજરઆ બેઠકમાં પક્ષના તમામ મહત્ત્વપૂર્ણ નેતાઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા છે. જેમાં તમામ ધારાસભ્યો અને સાંસદોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જિલ્લા પંચાયતના પ્રમુખો, મહાનગરપાલિકાના મેયરો અને મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ આ બેઠકમાં જોડાયા છે, જે દર્શાવે છે કે આ અભિયાનને સ્થાનિક સ્તરે પણ મજબૂત રીતે લાગુ પાડવામાં આવશે. ત્રણ મહિના માટે અભિયાનઆગામી ત્રણ મહિના માટેના આ અભિયાન માટેની કાર્યયોજના ઘડવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે . બેઠકમાં આ અભિયાનને સફળ બનાવવા માટેના વિવિધ આયોજનો, કાર્યક્રમો અને વ્યૂહરચનાઓ પર વિગતવાર મંથન કરવામાં આવી રહ્યું છે. પાર્ટીનું લક્ષ્ય છે કે આ અભિયાન દ્વારા આત્મનિર્ભર ભારતની વિભાવનાને દરેક ઘર સુધી પહોંચાડવામાં આવે અને લોકોને સ્વદેશી ઉત્પાદનો અને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે જાગૃત કરવામાં આવે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો હતો કે રાજ્યભરમાં ભાજપના કાર્યકરો અને પદાધિકારીઓ આ અભિયાનને પૂરી તાકાત અને સમર્પણ સાથે ચલાવી શકે, જેથી આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરી શકાય.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:13 pm

અમરેલીમાં યુવતી પર હુમલો કરનારા બન્ને આરોપીનું રિકન્સ્ટ્રક્શન:પ્રેમી-મિત્રને દોરડાથી બાંધી ઘટનાસ્થળે લઈ જવાયા, પોલીસે જાહેરમાં માફી મગાવી, હથિયાર કબજે કર્યું

અમરેલી શહેરમાં બે દિવસ પૂર્વે ભાવકા ભવાની મંદિરમાં એક યુવતી પર જીવલેણ હુમલો કરનાર બે આરોપીઓનું પોલીસે ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન-પંચનામું કર્યું હતું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપીઓને દોરડાથી બાંધી ઘટના સ્થળે લઈ જવાયા હતા. સ્થળ પર લઈ જઈ કેવી રીતે ગુનો આચર્યો તેનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. તેમજ પોલીસે જાહેરમાં માફી મંગાવી હતી. યુવતીના ગળા પર છરી વડે હુમલો કર્યોઆ ઘટના બે દિવસ પહેલા સાંજે બની હતી, જેમાં 24 વર્ષીય યુવતીના ગળા પર છરી વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મંદિરના પટાંગણમાં યુવતીનું ગળું કાપવાનો પ્રયાસ થયો હતો, જેના કારણે શહેરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. ગંભીર હાલતમાં યુવતીને તાત્કાલિક અમરેલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં હાલ તેની સ્થિતિ સ્થિર છે. હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયોઆ મામલે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં યુવતીની માતાએ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાવ્યો હતો. જેથી પોલીસે અમરેલીના રહેંવાસી આરોપીઓ વિપુલ જાદવભાઈ ધૂંધળવા અને આકાશ મહેન્દ્રભાઈ આવટને ઝડપી પાડ્યા હતા. યુવતીની સગાઈ થતાં યુવકે ગુસ્સામાં હુમલો કર્યોપોલીસ તપાસમાં હુમલા પાછળ પ્રેમસંબંધ કારણભૂત હોવાનું બહાર આવ્યું છે. યુવતીની અન્ય યુવક સાથે સગાઈ થતાં પ્રેમી વિપુલ ધૂંધળવા નારાજ થયો હતો. એક મહિના પહેલા જ યુવતીની સગાઈ થઈ હોવા છતાં વિપુલ યુવતીનો પીછો કરતો હતો. યુવતીએ મોબાઈલ પર વાત કરવાનું બંધ કરી દેતા પ્રેમી ગુસ્સે ભરાયો હતો. આખરે તેણે મિત્ર આકાશ સાથે મળી છરી વડે યુવતીની હત્યાનો પ્રયાસ કર્યો હતો. રિકન્સ્ટ્રક્શન અને રિકવર પંચનામું કરાયુંઆજે પ્રેમી સહિત બંને આરોપીને દોરડાથી બાંધીને જે સ્થળે ઘટના બની હતી ત્યા લઈ જવામાં આવ્યા હતા. ઘટના કેવી રીતે બની છે તે માટે રિકન્સ્ટ્રક્શન અને રિકવર પંચનામું પોલીસે કર્યું છે. પોલીસે આરોપીઓ પાસે જાહેરમાં માફી પણ મંગાવી હતી, જેથી ભવિષ્યમાં આવા ગુનાઓ અટકાવી શકાય. આ કાર્યવાહી પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ કરવામાં આવી હતી સીમકાર્ડની પોલીસે શોધખોળ શરૂ કરીઆ ઉપરાંત આરોપીઓ દ્વારા ગુનો કર્યો તે સમયે મોબાઈલના સીમકાર્ડ ફેંકી દીધા હતા, તે સીમકાર્ડની પોલીસે શોધખોળ શરૂ કરી હતી. ઇન્ચાર્જ SP જયવીર ગઢવીની દેખરેખ હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પી.આઈ.વિજય કોલાદ્રા, સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચ પી.આઈ.આર.ડી.ચૌધરી,સીટી પી.આઈ.ડી.કે.વાઘેલા સહિત પોલીસ અધિકારીઓ કર્મચારીઓના ચુસ્તબંદોબસ્ત સાથે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બંને આરોપીને હવે કોર્ટ સમક્ષ રજૂ કરાશેઇન્ચાર્જ SP જયવીર ગઢવીએ જણાવ્યું કે, અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસના કેસમા આજે આરોપીનું રિકન્સ્ટ્રક્શન અને રિકવરી પંચનામું કરવામા આવ્યું હતું. આરોપી દ્વારા જે હથિયારનો ઉપયોગ કરાયો હતો તે પુરાવા માટે કબજે કરવામાં આવ્યું છે. બંને આરોપીને હવે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:11 pm

દ્વારકા આશા વર્કરોની માંગણીઓ:પ્રાંત અધિકારીએ આવેદનપત્ર ન સ્વીકારતા તાલુકા હેલ્થ ઓફિસમાં રામધૂન

દ્વારકા તાલુકાના આશા વર્કરોએ પોતાની વિવિધ માંગણીઓ સાથે પ્રાંત અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસર સમક્ષ રજૂઆત કરી હતી. અધિકારીઓએ આવેદનપત્ર સ્વીકારવાનો ઇનકાર કરતા આશા વર્કરોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું અને તાલુકા હેલ્થ ઓફિસ ખાતે રામધૂન બોલાવી હતી. આશા વર્કરોનો મુખ્ય આરોપ છે કે ઓનલાઈન કામગીરીનું ભારણ વધતા તેમનું કામ વેતન કરતાં બમણું થઈ ગયું છે. તેઓને વધેલા કામના બોજ સામે પૂરતું વળતર મળતું નથી. આ મુદ્દે તેઓ લાંબા સમયથી રજૂઆત કરી રહ્યા છે. આવેદનપત્ર સ્વીકારવાનો ઇનકાર થતા આશા વર્કરોએ પોતાનો વિરોધ વધુ અસરકારક બનાવવા માટે રામધૂનનો માર્ગ અપનાવ્યો હતો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમનું આવેદનપત્ર સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ રામધૂન ચાલુ રાખશે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:05 pm

PM મોદી 20 સપ્ટેમ્બરે લોથલની મુલાકાત લેશે:4500 કરોડના ખર્ચે તૈયાર થતાં નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરી સમીક્ષા બેઠક કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદ જિલ્લાના લોથલ ખાતે નિર્માણ પામી રહેલા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ (NMHC) પ્રોજેક્ટ પ્રગતિની સમીક્ષા તેમજ અત્યાર સુધી તૈયાર થયેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ પર કરશે. વડાપ્રધાન સમગ્ર પ્રોજેક્ટની સમીક્ષા બેઠકમાં અધિકારીઓ સાથે ચર્ચા કરશે અને લોથલ ખાતે ચાલી રહેલા વિવિધ કામોની પ્રગતિ અંગેની વિસ્તૃત માહિતી પણ મેળવશે. ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલું લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિના મુખ્ય વેપાર કેન્દ્રની સાથે-સાથે ભારતની સમુદ્ર શક્તિ અને સમૃદ્ધિનું પ્રતીક પણ હતું. આ ઐતિહાસિક સિંધુ સંસ્કૃતિના ઇતિહાસના સાક્ષી સમા લોથલમાં ભારતના ભવ્ય દરિયાઈ વારસાને દર્શાવતું ‘નેશનલ મેરિટાઈમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’ (NMHC) નિર્માણ પામી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પાંચ પ્રણો આપ્યાં છે, તેમાંનું એક પ્રણ પ્રાચીન વિરાસતોનું સંવર્ધન કરવાનું છે, જે ‘નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’ના નિર્માણ થકી સાકાર થવા જઈ રહ્યું છે. ‘વિકાસ ભી, વિરાસત ભી’ના ધ્યેયને નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ સાકાર કરશે‘નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’માં ઇતિહાસ, શિક્ષણ, સંશોધન અને મનોરંજનનો સુભગ સમન્વય સર્જાશે. લોથલ પાંચેક હજાર વર્ષ પહેલાં માત્ર એક બંદર જ નહોતું, પરંતુ અહીં દરિયાઈ જહાજોની મરામત પણ થતી હતી, એ જ્વલંત ઇતિહાસ અહીં ફરી જીવંત થશે. આધુનિક ટેક્નોલોજી થકી ભવ્ય દરિયાઈ પ્રાચીન વારસાની અનુભૂતિ કરાવવામાં આવશે. વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટિના કારણે આ અતિપ્રાચીન સ્થળનો ફરી વિકાસ શક્ય બન્યો છે. ગુજરાતની પ્રાચીન ધરોહરનું મહત્ત્વનું સ્થળ લોથલ એક મોટા પરિવર્તનનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. આમ, ગુજરાતના સમૃદ્ધ પ્રાચીન સામુદ્રિક વારસાની વિરાસતને આધુનિક યુગના આયામો સાથે જોડીને નિર્માણ થઇ રહેલું આ મ્યુઝિયમ ‘વિકાસ ભી, વિરાસત ભી’ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધ્યેયને સાકાર કરશે. હેરિટેજ કૉમ્પ્લેક્સના કારણે હજારો લોકો માટે રોજગારીની તકો ઉપલબ્ધ થશેઆ હેરિટેજ કૉમ્પ્લેક્સ લોકો માટે એક પ્રવાસન સ્થળ ઉપરાંત અભ્યાસ માટેનું કેન્દ્ર બનશે. નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ એક નવા આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે અને વિશ્વના અન્ય આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમોની સમકક્ષ તેની સારસંભાળ લેવામાં આવશે. આ પ્રોજેક્ટ સમગ્ર ભાલ પ્રદેશની અર્થવ્યવસ્થા વિકસાવવામાં પણ મદદરૂપ સાબિત થશે. જેના પરિણામ સ્વરૂપે હજારો લોકો માટે રોજગારીની અનેક તકો અહીં સર્જાશે તેમજ સંખ્યાબંધ કુટીર ઉદ્યોગોના વિકાસની પણ અનેક રાહ ખુલશે. ‘આત્મનિર્ભર ભારત’ વિઝન થશે સાકાર, મેરિટાઇમ હેરિટેજ ટુરિઝમને મળશે પ્રોત્સાહનઅત્રે ઉલ્લેખનીય છે કે, લોથલમાં હેરિટેજ મ્યુઝિયમનું નિર્માણ એ રીતે કરવામાં આવી રહ્યું છે કે ભારતનો સામાન્ય માણસ તેનો ઇતિહાસ સરળતાથી સમજી શકે. જેમાં અત્યંત આધુનિક ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને એ જ યુગને ફરી સજીવન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લોથલ, હડપ્પન સંસ્કૃતિ સમયના અગ્રણી શહેરોમાંનું એક હતું અને સૌથી જૂના માનવસર્જિત ડોકયાર્ડની શોધ માટે તે જાણીતું છે. લોથલમાં નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમનું નિર્માણ એ શહેરના ઐતિહાસિક વારસા અને ધરોહરની સ્મૃતિના જતન માટે એકદમ યોગ્ય છે. આ સાથે આ પહેલ મેરિટાઇમ હેરિટેજ ટુરિઝમ, સંશોધન અને નીતિગત વિકાસમાં ભારતને એક વૈશ્વિક કેન્દ્ર બનાવીને વડાપ્રધાનના ‘આત્મનિર્ભર ભારત’ વિઝનને સાકાર કરે છે. વિશ્વનું સૌથી ઊંચું લાઈટ હાઉસ મ્યુઝિયમ આ કૉમ્પ્લેક્સમાં બનશેનેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સમાં વિશ્વનું સૌથી ઊંચું લાઇટહાઉસ મ્યુઝિયમ પણ તૈયાર થશે. આ આઇકોનિકઆ લાઇટહાઉસ મ્યુઝિયમ 77 મીટરનું હશે જેમાં 65 મીટર ઉપર ઓપન ગેલેરી હશે, જે સમગ્ર સંકુલના તમામ મુલાકાતીઓને ઓપન એર વ્યૂઇંગ ગેલેરી પ્રદાન કરશે. એટલું જ નહીં, રાત્રીના સમયે લાઇટિંગ શો પણ થશે. નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ મ્યુઝિયમમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટની સુવિધા પણ ઊભી કરવામાં આવશે. 100 રૂમનું ટેન્ટ સિટી અને રિસોર્ટ પણ તૈયાર થશે. આખા મ્યુઝિયમમાં ફરવા માટે ઈ-કારની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે. 500 ઇલેક્ટ્રિક કારના પાર્કિંગની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. આ ઉપરાંત 66 કે.વીનું સબસ્ટેશન પણ કાર્યરત થઇ ગયું છે. સમુદ્રી વારસા પર પ્રકાશ પાડતી 14 ગેલેરીઓ જોવા મળશેઆ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ લગભગ ₹4500 કરોડના ખર્ચે તૈયાર થઇ રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે 375 એકર જમીન રાજ્ય સરકારે ફાળવી છે. આ મ્યુઝિયમમાં હડપ્પન આર્કિટેક્ચર અને જીવનશૈલીને ફરીથી ઉજાગર કરવા માટે લોથલ મિની રિક્રિએશન ઉપરાંત ‘મેમોરિયલ થીમ પાર્ક’, ‘મેરિટાઇમ અને નેવી થીમ પાર્ક’, ‘ક્લાઇમેટ થીમ પાર્ક’ ‘તેમજ એડવેન્ચર એન્ડ એમ્યુઝમેન્ટ થીમ પાર્ક’ જેવા ચાર થીમ પાર્કના નિર્માણના પગલે ઘણી આવિષ્કારી અને યુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે. હડપ્પીયન સમયથી શરૂ કરીને આજ સુધીના ભારતના સમુદ્રી વારસા પર પ્રકાશ પાડતી 14 ગેલેરીઓ તેમજ અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ સમુદ્રી વારસાને પ્રદર્શિત કરતું કોસ્ટલ સ્ટેટ્સ પેવેલિયન પણ અહીં રાખવામાં આવશે. નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સમાં મેરિટાઇમ યુનિવર્સિટી બનશેસૌથી અગત્યની વાત એ પણ છે કે, નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સમાં મેરિટાઇમ યુનિવર્સિટી બનશે. આમ, મેરીટાઈમની ડિગ્રી એક જગ્યાએ પ્રાપ્ત થશે. સાથો-સાથ સ્ટુડન્ટ્સ એક્સેચેન્જ પ્રોગ્રામને વેગ મળશે. નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સમાં માત્ર મેરીટાઈમ કૉમ્પ્લેક્સ જ નહીં પરંતુ અભ્યાસ માટે ઈન્સ્ટિટ્યૂટ પણ બનાવવામાં આવશે. આ સાથે-સાથે દુનિયાની સૌથી મોટી અંડર વૉટર થીમિંગ ઓપન ગેલેરી પણ આ જ કૉમ્પ્લેક્સ બનાવવામાં આવશે. આ મ્યુઝિયમનાં મુલાકાતીઓને એક ભવ્ય મેરિટીઇમ ઇતિહાસમાંથી પસાર કરશે અને તેમને એક વિશ્વસ્તરીય મ્યુઝિયમની મુલાકાતનો અનુભવ મળશે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 3:03 pm

પોરબંદરમાં વ્યાજખોરીની ફરિયાદ, યુવાને ડેમમાં ઝંપલાવી આપઘાત:રાણાબોરડીના સરપંચ સહિત બે સામે ગુનો, હદપારી ભંગનો કેસ

પોરબંદરમાં વ્યાજખોરીનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. રાણાબોરડીના મૂળ નિવાસી અને હાલ રાજકોટ રહેતા રસિક નારણભાઈ રાવતે સાંગાભાઈ જીવાભાઈ મોરી પાસેથી ૨૦ હજાર રૂપિયા ૩ ટકાના વ્યાજે લીધા હતા. આ વ્યાજખોરીમાં સાંગાભાઈ અને તેમના ભાઈ પરબત જીવા મોરીએ તા. ૧૬-૦૩-૨૦૦૬ થી ૧૬-૦૬-૨૦૧૯ સુધીના ૨૦,૦૦૦ રૂપિયાના ૨૪,૨૧,૪૯૭ રૂપિયાની માંગણી કરી હતી. આરોપીઓએ રસિકભાઈને ગાળો આપી દબાણ કર્યું હતું અને બળજબરીપૂર્વક ૧૨ લાખ રૂપિયા કઢાવી લીધા હતા. આ મામલે રાણાવાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અન્ય એક ઘટનામાં, પોરબંદરના એક શખ્સ સામે હદપારી ભંગનો ગુનો નોંધાયો છે. ખારવાવાડમાં રહેતા કલ્પેશ ઉર્ફે કપુ જીતુભાઈ જુંગીને તા. ૨૮-૦૮-૨૦૨૫ થી ત્રણ માસ માટે પોરબંદર જિલ્લામાંથી હદપાર કરવામાં આવ્યો હતો. હદપારીનો આદેશ હોવા છતાં, કલ્પેશ પોરબંદરમાં જ આટાફેરા કરતો જોવા મળ્યો હતો. કીર્તિમંદિર પોલીસે તેને ઝડપી પાડી હદપારી ભંગ બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણખીરસરા ગામે એક યુવાને ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લેતા ગમગીની છવાઈ ગઈ છે. રાણખીરસરા ગામના ૨૦ વર્ષીય રવિ ભરત સાદીયા નામના યુવાનને મજૂરી કામમાં મન ન લાગતું હોવાથી તેણે રાણખીરસરા ડેમમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ અંગે રાણાવાવ પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 2:57 pm

હુડાના CEOની અપીલ: વિકાસ યોજના અંગે ગેરસમજ ટાળો:જમીન કપાત અંગેની ખોટી માન્યતાઓ દૂર કરવા સ્પષ્ટતા કરી

હિંમતનગર શહેરી વિકાસ સત્તામંડળ (HUDA) દ્વારા તૈયાર કરવામાં આવેલી સૂચિત વિકાસ યોજના અંગે પ્રવર્તી રહેલી ગેરસમજોને દૂર કરવા માટે મુખ્ય કારોબારી અધિકારી ક્રિષ્ના વાઘેલાએ જનતાને અપીલ કરી છે. તેમણે ખાસ કરીને જમીન કપાત અંગેની ખોટી માન્યતાઓ પર સ્પષ્ટતા કરી હતી. વાઘેલાએ જણાવ્યું હતું કે, એવી માન્યતા ફેલાઈ રહી છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે જમીનની સંપૂર્ણ કપાત થઈ જશે, જે સત્યથી વેગળી છે. નગરરચના યોજના હેઠળ, માળખાકીય સુવિધાઓ માટે આવરી લેવાયેલી જમીનોના મૂળ માલિકોને નિયમોનુસાર સુવ્યવસ્થિત ફાઇનલ પ્લોટ આપવામાં આવે છે. ભૂતકાળના અનુભવો દર્શાવે છે કે આ પ્રક્રિયાથી જમીનના મૂલ્યમાં અનેકગણો વધારો થાય છે, જેથી આ યોજના ખેડૂતો અને જમીનમાલિકોના હિતોનું રક્ષણ કરે છે.મુખ્ય કારોબારી અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે આ ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ ગુજરાતને શહેરી વિકાસમાં રોલ મોડેલ રાજ્ય બનાવવાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. આ યોજના GTPCL જેવી પ્રતિષ્ઠિત એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તેમાં વ્યાપક જાહેર પરામર્શનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયા દરમિયાન, હિંમતનગર વિધાનસભાના ધારાસભ્ય વી.ડી. ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, હિંમતનગર નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય, અને હુડામાં સમાવિષ્ટ ૧૧ ગ્રામ પંચાયતોના સરપંચો જેવા પદાધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. ક્રેડાઈ, ડોક્ટર્સ, બિલ્ડર્સ, વેપારીઓ, એડવોકેટ અને એન્જિનિયર-આર્કિટેક્ટ જેવા વિવિધ જૂથોના પ્રતિનિધિઓ, ગ્રામ પંચાયતના સરપંચો અને આગેવાનો પાસેથી પણ મૂલ્યવાન મંતવ્યો મેળવીને એક સર્વસમાવેશક ડ્રાફ્ટ પ્લાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.આ સૂચિત વિકાસ યોજનાનું નોટિફિકેશન ૦૮.૦૯.૨૦૨૫ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આગામી બે મહિના સુધી જાહેર જનતા આ યોજના પર પોતાના સૂચનો અને વાંધા રજૂ કરી શકે છે. અત્યાર સુધીમાં, આશરે ૩૫ જેટલી રજૂઆતો પ્રાપ્ત થઈ છે અને હુડા વધુ પ્રતિભાવોને આવકારે છે. આ યોજનામાં દર્શાવેલ રોડ-રસ્તાઓનું નિર્માણ જરૂરિયાત મુજબ તબક્કાવાર કરવામાં આવશે. ભૂતકાળનો ઇતિહાસ દર્શાવે છે કે શહેરી વિકાસ સત્તામંડળની રચના બાદ ગાંધીનગર (GUDA) જેવા શહેરોએ ઝડપી વિકાસ સાધ્યો છે. આ યોજનાનો મુખ્ય હેતુ હિંમતનગરના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવાનો છે. હુડા સૌને આ વિકાસ પ્રક્રિયામાં સચોટ માહિતીના આધારે સહભાગી થવા વિનંતી કરે છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 2:40 pm

હિંમતનગરમાં 60 કરાટે ખેલાડીઓનો સેમિનાર પૂર્ણ:રાજ્ય-રાષ્ટ્રીય કક્ષાના મેડાલિસ્ટોને એડવાન્સ કુમિતે તાલીમ અપાઈ

હિંમતનગરમાં ત્રણ દિવસીય એડવાન્સ કરાટે કુમિતે તાલીમ સેમિનાર સંપન્ન થયો છે. આ સેમિનારમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના 60 મેડાલિસ્ટ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમને આંતરરાષ્ટ્રીય ખેલાડી પ્રણય શર્મા દ્વારા તાલીમ આપવામાં આવી હતી. સેકો કાઈ કરાટે ઇન્ટરનેશનલ ઇન્ડિયા (ગુજરાત) ના હેડ કોચ જુજારસિંહ કે. વાઘેલાએ માહિતી આપતા જણાવ્યું કે, આ સેમિનારનું આયોજન 15 થી 17 સપ્ટેમ્બર દરમિયાન હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ પર આવેલી ઉમિયા સમાજવાડી ખાતે કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કુલ 60 ખેલાડીઓએ આ તાલીમનો લાભ લીધો હતો. તેમને WKF સીરીઝ ગોલ્ડ મેડાલિસ્ટ, વર્લ્ડ કોમ્બેટ ગેમ્સ મેડાલિસ્ટ, સાઉથ એશિયન ગોલ્ડ મેડાલિસ્ટ, ખેલો ઇન્ડિયા ગોલ્ડ મેડાલિસ્ટ, કોમનવેલ્થ કરાટે ચેમ્પિયનશિપ મેડાલિસ્ટ અને નેશનલ કરાટે ચેમ્પિયનશિપ મેડાલિસ્ટ તેમજ નેશનલ કરાટે ટીમના કેપ્ટન પ્રણય શર્મા દ્વારા એડવાન્સ કુમિતેની તાલીમ અપાઈ હતી. ગોલ્ડ મેડાલિસ્ટ પ્રણય શર્માએ ખેલાડીઓને નવી ટેકનિક્સ, કરાટેમાં થઈ રહેલા ફેરફારો, સ્પોર્ટ્સ કરાટે અને ટ્રેડિશનલ કરાટે વચ્ચેનો તફાવત, એક પ્રોફેશનલ ખેલાડી તરીકે જીવનશૈલી અને આહાર અંગેની જાણકારી તેમજ પ્રેક્ટિકલ તાલીમ આપી હતી. આ ત્રણ દિવસીય તાલીમ સેમિનારનું બુધવારે મોડી સાંજે સમાપન થયું હતું. આશા છે કે આ તાલીમથી ખેલાડીઓ ભવિષ્યમાં હિંમતનગર, ગુજરાત અને ભારતનું નામ રોશન કરશે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 2:14 pm

કૈલાશ ખેરના સોંગ પર સફાઈકર્મી સ્ટેડિયમની રેલિંગ પર લટકી ગયો:લોકોએ માંડ માંડ બચાવ્યો, સુરતમાં ઈન્ડોર સ્ટેડિયમમાં સફાઈકર્મીઓને બિરદાવવા કાર્યક્રમ યોજાયો હતો

સુરત શહેરને સુપર સ્વચ્છ લીગમાં સ્થાન અપાવનાર સુરતના 6000 સમર્પિત સફાઈકર્મીઓને બિરદાવવા અને તેમના આર્થિક, સામાજિક કલ્યાણ માટે વેલ્ફેર ફંડનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અઠવાલાઈન્સ ખાતે આવેલા ઈનડોર સ્ટેડિયમમાં સફાઈકર્મીઓને બિરદાવા માટે સમારોહ રાખવામાં આવ્યો હતો. જેમાં પ્રખ્યાત ગાયક કૈલાશ ખેરે લાઈવ ઇન કોન્સર્ટ દ્વારા સુમધુર ગીતોથી સુરતવાસીઓને ડોલાવ્યા હતા. સફાઈ કર્મચારીઓ ઇન્ડો સ્ટેડિયમની અંદર ડાન્સ કરતા ઠેર ઠેર જોવા મળી રહ્યા હતા. કૈલાશ ખેર દ્વારા સ્ટેજ પરથી તેરે ઇશ્ક મે મર જાવું સોંગ ગાવાનું શરૂ કર્યું હતું. ઇશ્ક કા જાદુ સર પર ચડકે બોલે એવું ગીત શરૂ કરતાની સાથે જ એક સફાઈ કર્મચારી પહેલા મળે રેલિંગ પરથી નીચે લટકી ગયો હતો. આ સાથે ડાન્સ પણ કરવા લાગ્યો હતો. અંગેની જાણ થતા અન્ય સફાઈ કર્મચારીઓ સહિતના લોકો દોડી આવ્યા હતા. ત્યારબાદ આ સફાઈ કર્મચારીને ઉપર ખેંચી લીધો હતો. મોજમાં આવેલો સફાઈકર્મી સ્ટેડિયમની રેલિંગ પર લટકી ગયોએક સફાઈ કર્મચારી એટલો મોજમાં આવી ગયો હતો કે ટ્રેનિંગ પર એક હાથ પકડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કટ આઉટ ની બાજુમાં જ ગીત સાથે ડાન્સ કરવા લાગ્યો હતો. જ્યારે તેને ઉપર ખેંચવામાં આવ્યો ત્યારે નરેન્દ્ર મોદીનું કટ આઉટ તૂટી ગયું હતું અને નીચે પડી ગયું હતું. આ ઘટના બાદ સફાઈ કર્મચારીને ઇન્ડોર સ્ટેડિયમની બહાર લઈ જવામાં આવ્યો હતો. સુરતને સમગ્ર દેશમાં સ્વચ્છતામાં નંબર-1 બનાવનાર સફાઇ કર્મચારીઓ માટે ફંડ એકઠું કરવા બુધવારે ઈન્ડોર કૈલાશ ખેરનો કાર્યક્રમ હતો, જેમાં 10 કરોડ રૂપિયા ભેગા થયા હતા. કાર્યક્રમમાં 6000થી વધુ સફાઇકર્મીઓનું જાહેર સન્માન પણ કરવામાં આવ્યું હતું. કૈલાશ ખેર ના લાઇવ પરફોર્મન્સ પર સ્ટેડિયમ ની અંદર હાજર રહેલા સફાઈ કર્મચારીઓ ઠેર ઠેર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. નોંધનીય છે કે, યૂથ ફોર ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ આયોજિત કાર્યક્રમ થકી સફાઈકર્મીઓ માટે રૂ.10 કરોડનું આર્થિક ભંડોળ ઊભું કરવાનું આયોજન કરાયું છે. સંચાલન માટે સુરત મનપા દ્વારા સફાઈ યોદ્ધા વેલફેર ફંડની રચના કરવામાં આવી છે. આ ફંડમાં કોઇ પણ શહેરીજન પોતાનું યોગદાન આપી શકે છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 1:52 pm

નવરાત્રિમાં કિંજલ દવે ચાર-ચાર બંગડીવાળું ગીત નહીં ગાઈ શકે:ગીત ગાવા પરથી પ્રતિબંધ હટ્યો, પરંતુ 28 ઓક્ટોબર સુધી ઓર્ડર પર સ્ટે, રેડ રિબન અપીલમાં જઈ શકે

ગુજરાતીઓના પ્રિય ચાર ચાર બંગડીવાળી ગાડી ગીતના કોપીરાઇટનો મામલો હાઇકોર્ટમાં છે. નીચલી કોર્ટના ચુકાદા સામે રેડ રિબને હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જેની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કિંજલ દવેના આ ગીતને જાહેર મંચ પરથી ગાવા મુદ્દે સ્ટે યથાવત રાખ્યો હતો. જોકે છેલ્લી સુનાવણીમાં આ સ્ટેને હટાવી લેવામાં આવ્યો હતો. પરંતુ રેડ રિબન દ્વારા અપીલમાં જવાની તૈયારી બતાવાતા હાઈકોર્ટ સમક્ષ 8 અઠવાડિયા સુધીના સ્ટે લંબાવવાની માગ કરવામાં આવી હતી. જેથી હાઇકોર્ટે પોતાના ઓર્ડરના ઉપર સ્ટે આપ્યો છે. જે 28 ઓક્ટોબર સુધી યથાવત રહેશે. આ કેસની ફાઇનલ સુનાવણી ડિસેમ્બર મહિનામાં યોજાવવાની શકયતાઓ છે. ત્યારે આગામી નવરાત્રિમાં કિંજલ દવેને કોર્ટમાંથી રાહત ના મળે ત્યાં સુધી તો આ ગીત ગાવાની શકયતાઓ નહિવત છે. કેસને વિગતે જોતા વર્ષ 2019માં રેડ રીબન એન્ટરટેનમેન્ટ દ્વારા અમદાવાદની સિવિલ કોર્ટમાં કિંજલ દવે, RDC મીડિયા અને સરસ્વતી સ્ટુડિયો સામે સિવિલ દાવો દાખલ કરાયો હતો. આ દાવો કોપીરાઇટ એક્ટ 1957ની કલમ 55 મુજબ દાખલ કરવામાં આવ્યો હતો. કાર્તિક પટેલ મ્યુઝિક કમ્પોઝર અને ગુજરાતી વીડિયો બનાવનાર વ્યક્તિ છે. તેનો દાવો હતો કે ચાર ચાર બંગડી વાળી ગાડી ગીત તેને બનાવ્યું છે. બાદમાં કિંજલ દવેએ આ ગીત યુ ટ્યુબ ઉપર રિલીઝ કર્યું હતું. કિંજલ દવે આ ગીતની કોપી કરી હતી. અરજદાર રેડ રિબને આ કેસમાં કિંજલ દવે સહિત મીડિયા કંપનીઓને આ ગીત સંબંધી તમામ પ્રવૃત્તિઓ અટકાવવા માંગ કરી હતી. તેમજ આ કેસ ફાઈલ થઈ અત્યાર સુધી કરેલી કમાણી પર 18 ટકા વ્યાજ સાથે રકમ ચૂકવવા માંગ કરી હતી. કિંજલ દવે 200 સ્ટેજ પરફોર્મન્સમાં આ ગીત ગાઈ ચૂકી છે. જેથી અરજદારે થયેલ નુકસાનીની પણ માંગ કરી હતી. જો કે અરજદાર કેસ સાબિત કરવામાં કોર્ટમાં નિષ્ફળ ગયા હતા. જેથી સિટી સિવિલ કોર્ટે 30 જાન્યુઆરી, 2024 ના રોજ ગીતના કોપીરાઇટ મામલે કિંજલ દવે તરફે ચુકાદો આપ્યો હતો. પરંતુ 15 દિવસ સુધી ઓર્ડરના અમલીકરણ પર રોક લગાવી હતી. કારણ કે અરજદારે અપીલ કરવા માટે રજૂઆત કરી હતી. એટલે 14 ફેબ્રુઆરી, 2024 સુધી કિંજલ દવે આ ગીત જાહેર મંચ ઉપર ગાઈ શકી નહોતી.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 1:52 pm

લગ્નના ઇરાદે યુવક સાથે રહેવા આવેલી યુવતી પસ્તાઈ:ઇન્સ્ટાગ્રામથી પરિચયમાં આવેલા યુવક સાથે ત્રણ મહિના રહ્યા બાદ ઝઘડાથી કંટાળી માતા-પિતા પાસે પાછા ફરવા ઈચ્છા વ્યક્ત કરી

છોટાઉદેપુર જિલ્લાની એક યુવતી ઇન્સ્ટાગ્રામ મારફતે આંકલાવના યુવકના સંપર્કમાં આવી હતી. લગ્નના ઇરાદે તે યુવક સાથે રહેવા ગઈ હતી, પરંતુ ત્રણ મહિના સુધી સાથે રહ્યા બાદ યુવકની બેરોજગારી અને સતત ઝઘડાથી કંટાળીને યુવતીએ તેના માતા-પિતા પાસે પાછા ફરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. હાલ આ યુવતીને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, છોટાઉદેપુર જિલ્લાના એક ગામની યુવતી ધોરણ 11માં અભ્યાસ કરતી હતી ત્યારે તેના માતા-પિતાએ તેને મોબાઈલ ફોન આપ્યો હતો. યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર આઈડી બનાવી હતી અને ત્યાં તે આંકલાવના યુવકના સંપર્કમાં આવી હતી. વાતચીત દરમિયાન યુવકે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. યુવતી પહેલીવાર વડોદરામાં મિત્રના ઘેર જવાનું બહાનું કાઢીને આંકલાવ પહોંચી હતી અને યુવકને મળી હતી. તેઓએ લગ્ન માટે વકીલનો સંપર્ક કર્યો હતો, પરંતુ સાક્ષી ન મળતા લગ્ન થઈ શક્યા ન હતા. આથી, બંને લગ્ન કર્યા વિના લગભગ ત્રણ મહિના સુધી સાથે રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન, યુવક કોઈ કામધંધો કરતો ન હોવાથી અને અવારનવાર ઝઘડા કરતો હોવાથી યુવતી કંટાળી ગઈ હતી. એક વખત છોટાઉદેપુરથી પાછા ફરવા મુદ્દે પણ ઝઘડો થયો હતો. આખરે, યુવતીએ યુવક સાથે ન રહેવાનો નિર્ણય કર્યો. યુવતી એક વકીલની ઓફિસે પહોંચી હતી, જ્યાંથી મહિલા હેલ્પલાઇન 181 અભયમની ટીમને જાણ કરવામાં આવી હતી. અભયમ ટીમે સ્થળ પર પહોંચીને યુવતીનું કાઉન્સેલિંગ કર્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન યુવતીએ સ્પષ્ટપણે જણાવ્યું કે તે હવે યુવક સાથે રહેવા માંગતી નથી અને તેના માતા-પિતા પાસે પાછા ફરવા ઈચ્છે છે. યુવતી અન્ય જિલ્લાની હોવાથી અને તાત્કાલિક આશ્રયની જરૂર હોવાથી તેને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે સોંપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 1:50 pm

ગોવામાં પીએમ મોદીના 75મા જન્મદિવસની અનોખી ઉજવણી:50 ગુજરાતી કલાકારોની કલાકૃતિઓનું ત્રણ દિવસ પ્રદર્શન, સીએમ સાવંતે કર્યું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે, ગુજરાતના કલાકારો દ્વારા ગોવા ખાતે એક અનોખા કલાકૃતિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. AAA ગ્રુપના અજયસિંહ ચૌહાણ, ડોક્ટર અજયસિંહ જાડેજા, અને ડોક્ટર અશોકભાઈ પટેલ દ્વારા આયોજિત આ પ્રદર્શન ગોવાની પ્રતિષ્ઠિત કલા અકાદમી આર્ટ ગેલેરીમાં 17, 18 અને 19 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ સુધી ચાલશે. 50 કલાકારોની 100થી વધુ કલાકૃતિઓ અને તસવીરોનું પ્રદર્શનઆ પ્રદર્શનનું ઉદ્ઘાટન 17 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યે ગોવાના મુખ્યમંત્રી ડોક્ટર પ્રમોદ સાવંતના હસ્તે ગોવામાં પણજી ખાતે આવેલી કલા અકાદમી આર્ટ ગેલેરીમાં કરવામાં આવ્યું. આ પ્રદર્શનમાં ગુજરાતના લગભગ 50 કલાકારો અને ફોટોગ્રાફરો દ્વારા બનાવવામાં આવેલી 100થી વધુ કલાકૃતિઓ અને તસવીરો રજૂ કરવામાં આવી રહી છે. અમદાવાદના 15થી વધુ અને ભાવનગરના 10થી વધુ કલાકારોઆ પ્રદર્શનમાં અમદાવાદના 15થી વધુ અને ભાવનગરના 10થી વધુ કલાકારો સહિત રાજકોટ, જૂનાગઢ, વડોદરા, સુરત, વાપી, મુંબઈ, સુરેન્દ્રનગર અને જામનગરના કલાકારો પણ ભાગ લેશે. આ કલાકારોએ વિવિધ માધ્યમો અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને વડાપ્રધાનની છબીઓને અલગ-અલગ સ્વરૂપમાં રજૂ કરી છે. આ પ્રદર્શન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને તેમના જીવનની સફરને કલાત્મક રીતે રજૂ કરવાનો એક સુંદર પ્રયાસ છે. આ પ્રદર્શન કલાપ્રેમીઓ માટે એક અદ્ભુત તક છે કે તેઓ આ કલાકૃતિઓ દ્વારા પ્રેરણા મેળવી શકે. ભાગ લીધેલા કલાકારોના નામ અમદાવાદ ભાવનગર અન્ય શહેરોના કલાકારો

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 1:38 pm

માતાના મઢમાં આસો નવરાત્રિ પૂર્વે રોશનીનો શણગાર:મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારાયું, યાત્રિકોનું આગમન વધ્યું

કચ્છના સરહદી તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢમાં આસો નવરાત્રિની ભક્તિભાવ સાથે પરંપરાગત ઉજવણી કરવામાં આવશે. નવરાત્રિ પૂર્વે જ મા આશાપુરા માતાજીના મંદિર અને તેના પરિસરને રંગબેરંગી લાઈટોથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યું છે. શ્રાદ્ધના દિવસોથી જ અહીં યાત્રિકોનું આગમન શરૂ થઈ ગયું છે. આજે વહેલી સવારથી જ માતાના મઢમાં ભાવિકોની ભીડ જોવા મળી હતી, જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન માટે લાંબી કતારો લગાવી હતી. આ ઉપરાંત, માતાના મઢ ગ્રામ પંચાયત દ્વારા ધંધાર્થીઓ માટેના પ્લોટોની ફાળવણીનું કાર્ય પણ આજથી શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ વ્યવસ્થા નવરાત્રિ દરમિયાન વેપારીઓને સુવિધા પૂરી પાડશે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 1:22 pm

ઉકાઈ ડેમના 8 દરવાજા ખોલાયા:ઉપરવાસમાંથી 1.12 લાખ ક્યુસેક પાણીની આવક: તાપી નદીમાં પાણી છોડાયું

ઉકાઈ ડેમના આઠ દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાંથી 1 લાખ 12 હજાર 778 ક્યુસેક પાણીની ભારે આવક થતાં ડેમનું રૂલ લેવલ જાળવવા આ નિર્ણય લેવાયો છે.હાલ ડેમની સપાટી 342.37 ફૂટ પર પહોંચી છે. ડેમમાંથી 77 હજાર 855 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં પાણીની આવક અને જાવક સરખી રાખવા માટે હાઇડ્રો મારફતે પાણી છોડવામાં આવે છે, જેથી ડેમનું સુરક્ષિત સંચાલન સુનિશ્ચિત કરી શકાય. સતત વરસાદને કારણે ઉપરવાસમાંથી પાણીની આવક સતત વધી રહી હોવાથી તંત્ર એલર્ટ મોડ પર છે. તાપી નદીના કાંઠે આવેલા ગામોને અગાઉથી સૂચના આપી સાવચેત કરવામાં આવ્યા છે. લોકોને નદી કિનારા નજીક ન જવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે. ડેમની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ચેતી વ્યવસ્થા યથાવત રાખવામાં આવી છે. તાલુકા અને જિલ્લાની પ્રશાસકીય ટીમ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 1:16 pm

રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ફરી વિવાદમાં:કચેરી ટ્રાન્સફરમાં લાખોનાં કૌભાંડ બાદ ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયર થયા, 1-2 વર્ષ જુના એક્સપાયર થયેલા બાટલાઓ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં

રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ફરી વિવાદમાં આવી છે. તાજેતરમાં કચેરી ટ્રાન્સફરમાં લાખોનું કૌભાંડ થયાનો આરોપ વિપક્ષ દ્વારા લગાવવામાં આવ્યો હતો. જે અંગે તપાસ કમિટી રચવામાં આવી છે. ત્યારે હવે કચેરીમાં ફાયર સેફટીના સાધનો એક્સપાયર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. એટલે કે જિલ્લા પંચાયતમાં આગની ઘટના બને તો કર્મચારીઓ અને અધિકારીઓની જીંદગી પણ રામ ભરોસે હોય તેવો માહોલ છે. ફાયર સેફટીના અનેક સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. તો 1-2 વર્ષ જુના એક્સપાયર થયેલા બાટલાઓ હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે. જેને લઈને ડીડીઓ અને જિલ્લા પંચાયત પ્રમુખની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. જોકે ડીડીઓ દ્વારા આ મામલે પણ તપાસ કરી તાત્કાલિક ફાયરના બાટલા બદલવાની ખાતરી આપવામાં આવી છે. પ્રાપ્ત વિગત મુજબ જિલ્લા પંચાયતનાં બિલ્ડીંગમાં જે સ્થળે અધિકારીઓ અને પદાધિકારીઓ બેસે છે ત્યાં ફાયર સેફટીના સાધનો મુકવામાં આવ્યા છે. પરંતુ આ સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. કેટલાક ફાયરનાં બાટલાઓ એક્સપાયર થઈ ચૂક્યા છે. તો ઘણા બાટલાઓમાં તો એકપાયારી ડેઈટ પણ લખવામાં આવી નથી. તેમાં માત્ર મેન્યુફેક્ચરિંગ ડેઈટ છે જે પણ 2024ની જોવા મળે છે. ત્યારે આ કચેરીમાં આવતા મુલાકાતીઓ, કર્મચારીઓ તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓની જીંદગી પણ રામ ભરોસે હોય તેવું લાગી રહ્યું છે. બાબત ડીડીઓનાં ધ્યાનમાં જ નહીં હોવાનો લુલો બચાવ કરતા તેઓએ તાત્કાલિક પગલાં ભરવાનું જણાવ્યું હતું. ફાયર સેફ્ટીના એક્સપાયર થયેલા સાધનો અંગે ડીડીઓ અનંદુ સુરેશ ગોવિંદે જણાવ્યું હતું કે, આ મામલે પણ તપાસ કરાવવામાં આવશે. એટલું જ નહીં તપાસ કરાવી તમામ એક્સપાયર થયેલા બાટલાઓ તાત્કાલિક ધોરણે બદલાવી દેવામાં આવશે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, જો ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયર થયા હોવાનું જાણમાં આવ્યું હોત, તો તે તાત્કાલિક બદલી નાખવામાં આવ્યા હોત. આ બાબત તેમના ધ્યાન પર આવતા હવે તેઓ તાત્કાલિક આ અંગે કાર્યવાહી કરશે. જિલ્લા પંચાયત બિલ્ડિંગની કચેરી ટ્રાન્સફરમાં કૌભાંડના આક્ષેપો બાદ ડીડીઓ અનંદુ સુરેશ ગોવિંદે આ મામલે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી કચેરી ટ્રાન્સફરના મામલે કુલ રૂ. 17 લાખ ચૂકવવામાં આવ્યા છે. વધુ બિલ હજુ તેમની પાસે આવેલ નથી. આ સમગ્ર મામલાની તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. ડીડીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, 10 થી 15 દિવસમાં તપાસ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સમગ્ર જવાબદારી અધિકારીઓ પર ઢોળી રહ્યા છે. બીજી તરફ, ડીડીઓનું કહેવું છે કે, કચેરી ટ્રાન્સફરનો ખર્ચ રૂ. 75 લાખ સુધી પહોંચી ગયો હોવાના આક્ષેપો થયા છે, પણ તેની કોઈ સત્તાવાર રજૂઆત કરવામાં આવી નથી. આરએન્ડબી પાસેથી જે બિલ મળ્યા છે, તે મુજબ અત્યાર સુધીમાં ફક્ત રૂ. 17 લાખ જ ચૂકવવામાં આવ્યા છે. પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે જવાબદારીની રસાકસી ચાલી રહી છે, ત્યારે આ બંને મામલે સાચી હકીકત ક્યારે બહાર આવશે, તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 1:14 pm

પાટણના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સેવા કાર્ય:સમીના ગોચનાદ ગામના સેવા કાર્યકર્તાએ 250 રાશન કીટ તૈયાર કરી ગામડે ગામડે વિતરણ કર્યું

પાટણ જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે રાધનપુર, સાંતલપુર અને અન્ય તાલુકાના ગામોમાં વ્યાપક તારાજી સર્જાઈ હતી. અનેક ઘરોમાં પાણી ઘૂસી જતાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. આ કપરા સમયમાં, સમી તાલુકાના ગોચનાદ ગામના યુવા સેવા કાર્યકર્તા ધુળાભાઈ ભુરાભાઈ બજાણીયા પૂર પીડિતોની મદદે આવ્યા હતા. ધુળાભાઈ બજાણીયાએ પોતાના નાના પરિવારના પ્રયાસોથી 250 રાશન કીટ તૈયાર કરી હતી. આ કીટોમાં અનાજ, દાળ, તેલ, બટાકા, ડુંગળી સહિતની આવશ્યક ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જે એક મહિના સુધી ચાલે તેટલી માત્રામાં હતી. આ રાશન કીટોનું વિતરણ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા સહિત 10થી વધુ પૂરગ્રસ્ત ગામોમાં કરવામાં આવ્યું હતું. ધુળાભાઈએ જાતે ગામડે ગામડે જઈને આ કીટો સીધા જ પૂર પીડિત પરિવારોના ઘર સુધી પહોંચાડી હતી. એક મહિના સુધી ચાલે તેવી સામગ્રી ભરેલી કીટ મેળવતા ગ્રામજનોના ચહેરા પર રાહત જોવા મળી હતી. ગામજનો અને લાભાર્થી પરિવારો દ્વારા ધુળાભાઈના આ માનવતાભર્યા કાર્યને ખૂબ બિરદાવવામાં આવ્યું હતું. નાના પરિવારમાંથી આવતા હોવા છતાં ધુળાભાઈ દ્વારા કરાયેલા આ સેવા કાર્યે સમાજ માટે એક પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે કે, મુશ્કેલીના સમયમાં એકબીજાની મદદ માટે સૌએ આગળ આવવું જોઈએ.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 1:05 pm

આમ આદમી પાર્ટીએ કચ્છમાં વિદ્યાર્થી પાંખ લોન્ચ કરી:યુવાનોને રાજકારણમાં જોડવાનો હેતુ, નિકુલ આહીરની ASAP કચ્છ ઝોનના પ્રમુખ તરીકે નિમણૂક

ભુજમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા તેની વિદ્યાર્થી પાંખ ‘ASAP – એસોસિએશન ઓફ સ્ટુડન્ટ્સ ફોર ઓલ્ટરનેટિવ પોલિટિક્સ’નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. સર્કિટ હાઉસ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કચ્છ ઝોન કક્ષાના સંગઠનની સફળતાપૂર્વક શરૂઆત થઈ હતી. આ પહેલા દિલ્હી, પંજાબ, હરિયાણા અને ગુજરાતમાં પણ આ સંગઠન લોન્ચ કરાયું છે. આ લોન્ચિંગ પ્રસંગે AAP પ્રદેશ સંગઠન મંત્રી અને કચ્છ ઝોન પ્રભારી સંજય બાપટ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન સંભાળ્યું હતું. આ સાથે, નિકુલ રણધીરભાઇ આહીરની ASAP કચ્છ ઝોનના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી. તેમની નિમણૂક સંજય બાપટ દ્વારા કરાઈ હતી. નિકુલ આહીર અને તેમની ટીમે અગાઉ ABVP માંથી આવીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. હવે તેઓ ASAPની મજબૂત સ્થાપના કરવાની જવાબદારી સંભાળશે. આ લોન્ચિંગ સમારોહમાં પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રવક્તા રાજીવભાઈ લોન્ચા, પરીક્ષિત બીજલાણી, ભુજ તાલુકા મહામંત્રી મામદ ખલીફા, હરિભાઈ આહીર, ગનીભાઈ સમા, અસલમ રાયમાં અને અસરફ કુંભાર સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ સંગઠનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને રાજકારણમાં સક્રિયપણે ભાગ લેવા માટે એક વૈકલ્પિક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. આનાથી યુવા શક્તિનો દેશના નિર્માણમાં યોગ્ય ઉપયોગ થઈ શકે તેવું AAP દ્વારા જણાવાયું છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 12:57 pm

છેતરપિંડીના 9 ગુનાનો રીઢો આરોપી ઝડપાયો:ફોર-વ્હીલર ગાડી વેચાણના નામે લાખો રૂપિયા પડાવનારને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ફોર-વ્હીલ ગાડીઓના વેચાણના બહાને લાખો રૂપિયા લઈ પડાવી લેનાર અને બાદમાં ગાડી કે પૈસા પરત ન આપી ઠગાઈ કરનાર આંતર-જિલ્લાના રીઢા આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા ઘણાં સમયથી આરોપી ફરાર હતોવડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પરવેઝખાન ઐયુબખાન નકુમ (ઉં.વ. 32, રહે. તાંદલજા, વડોદરા, મૂળ રહે ગામ સાધલી, નકુમ ફળિયું પંચાયતની બાજુમાં તા. શિનોર વડોદરા)ને સનફાર્મા રોડ પરથી ઝડપી પાડ્યો હતો. આરોપી વિરમગામ, કામરેજ અને સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ત્રણ ગુનાઓમાં નાસતો-ફરતો હતો. આ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપી સામે વિવિધ પોલીસ સ્ટેશનમાં 9 ગુના દાખલઝડપાયેલ આરોપી છેલ્લા 8 વર્ષથી ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનો (ખંભાત, મકરપુરા, લક્ષ્મીપુરા, શિનોર, સરથાણા, ડીસા, વારસિયા, કરજણ)માં ઠગાઈના 9 ગુનામાં સંડોવાયેલો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે, જેમાં તે ગાડીઓના વેચાણના નામે લોકોને છેતરી રૂપિયા લઈ ફરાર થતો હતો. ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યોઝડપાયેલ આરોપી સુરત ગ્રામ્ય કામરેજ પોલીસ મથકમાં નોંધાયેલ ગુનામાં 3.50 લાખ, અમદાવાદ ગ્રામ્યના વિરમગામ પોલીસ મથકમાં નોંધાયેલ ગુનામાં 7.05 લાખ, અમદાવાદ જિલ્લાના સાવરકુંડલા પોલીસ મથકમાં નોંધાયેલ ગુનામાં 8 લાખની રકમ ફરિયાદીને ન આપી છેતરપિંડી આચરતા આખરે આરોપીને ક્રાઈમ બ્રાન્ચ વડોદરાએ ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 12:46 pm

નાટ્ય કલાકારો SMCના નવા નિયમોથી નારાજ:શું 56 વર્ષ જૂની સંજીવ કુમાર નાટ્ય સ્પર્ધા આ વર્ષે રદ્દ થશે?, નવા અને અચાનક બદલાયેલા નિયમોથી કલાકારોમાં ભારે રોષ

સુરત શહેરના કલાકારો અને નાટ્ય પ્રેમીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. છેલ્લા 56 વર્ષથી સુરતમાં નિયમિતપણે યોજાતી પ્રતિષ્ઠિત સંજીવ કુમાર નાટ્ય સ્પર્ધા આ વર્ષે યોજાશે કે કેમ? તે અંગે અનેક સવાલો ઉભા થયા છે. આ સ્પર્ધા મ્યુનિસિપલ કોર્પોરેશનના સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે વિભાગ દ્વારા લાગુ કરાયેલા નવા અને અચાનક બદલાયેલા નિયમોને કારણે કલાકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કલાકારોનો મુખ્ય વાંધો શું છે?આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અત્યાર સુધીમાં નવ જેટલી નાટ્ય સંસ્થાઓએ નામ નોંધાવ્યા છે. જોકે, મનપાના સાંસ્કૃતિક વિભાગે આ વર્ષે એક નવો અને વિવાદાસ્પદ નિયમ લાગુ કર્યો છે. નવા નિયમ મુજબ, સ્પર્ધામાં ભાગ લેનારી સંસ્થાએ એકવાર નાટકનું નામ અને તેની સ્ક્રિપ્ટ ફાઇનલ કર્યા પછી તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકશે નહીં. આ નિયમથી કલાકારો આશ્ચર્યચકિત અને નારાજ છે. કલાકારોએ જણાવ્યું કે, 56 વર્ષના ઇતિહાસમાં આવો કોઈ નિયમ ક્યારેય હતો જ નહીં. કલાકારોના મતે, આ નિયમ તદ્દન અવ્યવહારુ છે. રંગમંચના કલાકારોને કોઈ અચાનક બિમારી, કૌટુંબિક પ્રસંગ અથવા અન્ય કોઈ અનિવાર્ય કારણસર રિહર્સલ અથવા શોમાં હાજર રહેવામાં મુશ્કેલી પડી શકે છે. આવા સંજોગોમાં, સંસ્થાએ નાટક બદલવું પડે અથવા સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવો પડે તે સ્વાભાવિક છે. પરંતુ, મનપાના અધિકારીઓ આ વર્ષે પહેલીવાર એવો નિયમ લાવ્યા છે કે, નાટકની સ્ક્રિપ્ટ બદલી શકાશે નહીં. કલાકારોનું કહેવું છે કે, આ નિયમ પાછળનું કારણ શું છે, તે અધિકારીઓને પણ સ્પષ્ટ ખબર નથી. અધિકારીઓ પર મનઘડત નિયમો લાવવાનો આરોપઆયોજન સાથે સંકળાયેલા અધિકારીઓ પર કલાકારો મનઘડત અને મનસ્વી નિયમો લાગુ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. કલાકારોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, રંગમંચના કલાકારો ભારતીય સંસ્કૃતિના વારસાને જીવંત રાખવાનું કામ કરે છે. તેઓ રાત-દિવસ મહેનત કરીને કલાને જાળવી રાખે છે. આવા સંજોગોમાં, તેમના માટે આ પ્રકારના અવ્યવહારુ અને સમજણ વગરના નિયમો શા માટે લાગુ કરવામાં આવી રહ્યા છે? કલાકારોએ એવી પણ ચિંતા વ્યક્ત કરી છે કે, જો અધિકારીઓ નિયમો સતત બદલતા રહેશે તો આગામી વર્ષોમાં કલાકારો આ સ્પર્ધામાં ભાગ લેવાનું ટાળશે, જેના કારણે આ પરંપરાગત સ્પર્ધા તેની ચમક ગુમાવી દેશે. 51મી સંજીવ કુમાર સ્પર્ધાનું આયોજન શંકાના દાયરામાંઉલ્લેખનીય છે કે, પાલિકા દ્વારા છેલ્લા 56 વર્ષથી આ નાટ્ય સ્પર્ધા યોજવામાં આવે છે, પરંતુ આ વર્ષે 51મી નાટ્ય સ્પર્ધાનું આયોજન કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બાબત પણ સ્પર્ધાના ઇતિહાસ અને આયોજન અંગે ગુંચવાડો ઉભો કરે છે. સમગ્ર મામલે મનપાના અધિકારીઓએ હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી. જો કલાકારોની રજૂઆતોને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો સંભવ છે કે આ વર્ષની સંજીવ કુમાર નાટ્ય સ્પર્ધા મુશ્કેલીમાં મુકાઈ શકે છે, જે સુરતના કલા જગત માટે એક મોટું નુકસાન સાબિત થશે. કલાકારો અને નાટ્ય પ્રેમીઓ આશા રાખી રહ્યા છે કે મનપા આ મુદ્દે સકારાત્મક વલણ અપનાવશે અને નિયમોમાં જરૂરી ફેરફાર કરશે જેથી આ ઐતિહાસિક સ્પર્ધા સફળતાપૂર્વક યોજી શકાય.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 12:31 pm

નશામુકત ભારત બનાવવા અભિયાન:અમદાવાદમાં રવિવારે 15000 યુવાનો 5 કિલોમીટરની દોડ લગાવશે, રજિસ્ટ્રેશનની પ્રોસેસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસને લઈ યોજાનારા સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત નશામુક્ત ભારત માટે નમો યુવા રનનું આયોજન ભાજપ યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યું છે. આગામી 21 સપ્ટેમ્બરના રોજ વસ્ત્રાપુર લેક ખાતેથી દોડની શરૂઆત થશે. વસ્ત્રાપુરથી એસજી હાઇવે તરફના 5 કિલોમીટર વિસ્તારમાં આ દોડ યોજાશે. અંદાજે 15000 યુવાઓ આ નમો યુવા રનમાં જોડાશે. જે યુવાનો યુવા રનમાં જોડાવવામાં માગતાં હોય તેઓએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. પ્રોટોકોલ અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ડ્રગ મુક્ત અને નશામુક્ત ભારત બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હાકલ કરવામાં આવી છે ત્યારે તમામ યુવાનો આ નશામુક્ત અભિયાનમાં જોડાઈ તેના માટે ભાજપ યુવા મોરચા દ્વારા સમગ્ર દેશમાં 21 સપ્ટેમ્બરના રોજ નમો યુવા રનનું આયોજન કરવામાં આવ્યું છે. લગભગ 100 જગ્યાએ અને દરેક જગ્યા પર આશરે 10,000 જેટલા યુવાનો દ્વારા દોડ લગાવવામાં આવશે. ગુજરાતમાં 10 જગ્યાએ દોડ થશે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર સહિતના અલગ અલગ શહેરોમાં આ દોડ યોજાશે. અમદાવાદમાં 21 સપ્ટેમ્બરના રોજ રવિવારે સવારે 6:00 વાગ્યે વસ્ત્રાપુર લેકથી ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આ દોડનું પ્રસ્થાન કરાવવામાં આવશે. આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના અંદાજે 15,000થી વધારે યુવાનો જોડાશે. ક્રિકેટર પાર્થિવ પટેલ, અભિનેતા મલ્હાર ઠક્કર, મોનલ ગજ્જર સહિતના કેટલાક નામકિત લોકો પણ આ દોડમાં ભાગ લેવાના છે. શહેરના યુવાનો પણ આ દોડમાં ભાગ લે તેના માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. નમો યુવા રનની લીંક અને QR કોડ મારફતે તેઓ રજીસ્ટ્રેશન કરાવી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે કહેતા હોય કે દેશને યુવાની જરૂર છે. જો યુવાનો આગળ આવશે અને નશા મૂક્ત ભારત બનશે હાકલ કરતા હોય ત્યારે યુવાનોની રાજકીય ક્ષેત્ર અને ફીટ ઇન્ડિયામાં ભાગીદારી રહેશે તો તો ચોક્કસ આદેશ હરણફાળ ભરશે. આત્મનિર્ભર ભારત બનાવવા પણ યુવાઓની ભાગીદારી જરૂરી છે. યુવાનોને ડ્રગ્સ ફ્રી બનાવવાનો સંદેશો આપતાં હોય છે. આજે સોશિયલ મીડિયાનો અને AI ટેક્નોલોજીનો જમાનો છે. ત્યારે ભારતને ડ્રગ્સ મૂક્ત બનાવવા માટે વડાપ્રધાનની હાકલમાં જોડાશે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 12:28 pm

અનિરુદ્ધસિંહ જાડેજા બપોરે 3 વાગ્યે સરેન્ડર કરશે:જૂનાગઢ જેલમાં પોપટ સોરઠિયા હત્યાકેસમાં હાજર થશે; અમિત ખૂંટ આત્મહત્યાકેસમાં થઈ શકે ધરપકડ

રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા આજે(18 ઓગસ્ટ) બપોરે 3 વાગ્યે જૂનાગઢ જેલમાં પોપટ સોરઠિયા હત્યા કેસમાં સરેન્ડર કરશે. આ સમયે અમિત ખૂંટ આત્મહત્યાકેસમાં પણ તેમની ધરપકડ થઈ શકે છે. અગાઉ અનિરુદ્ધસિંહ જાડેજાને તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યાકેસમાં ચાર અઠવાડિયામાં હાજર થવા હાઈકોર્ટે હુકમ કર્યો હતો. પોપટ સોરઠિયા હત્યાકેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદમાંથી મુક્તિ આપવાના જેલ અધીક્ષક ટી.એસ. બિસ્તના હુકમને ફગાવી અનિરુદ્ધસિંહને સરેન્ડર કરવા આદેશ કરાયો હતો. આ ઉપરાંત દરરોજ હાજરી પુરાવવાનો અને પાસપોર્ટ જમા કરાવવાનો પણ આદેશ કરાયો હતો. અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ જાડેજાને હાલ પોલીસ અમિત ખૂંટ આત્મહત્યાકેસમાં પણ શોધી રહી છે. અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ ગોંડલ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાની 19 ઓગસ્ટે આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી. આ પહેલાં કોર્ટે તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી પણ ફગાવી હતી. ગોંડલ તાલુકા પોલીસે અનિરુદ્ધસિંહ વિરુદ્ધ અમિત ખૂંટને આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધ્યો છે. પોલીસની ચાર્જશીટમાં અનિરુદ્ધસિંહને ફરાર બતાવવામાં આવ્યા છે. 2018માં તત્કાલીન જેલ આઇજી બિષ્ટે સજા માફી આપી1988ના પોપટ લાખા સોરઠિયા હત્યા કેસમાં ગોંડલ સેશન્સ કોર્ટે 1994માં અનિરુદ્ધસિંહને પૂરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યો હતો. ત્યાર બાદ સરકારે TADA એક્ટ હેઠળ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. સુપ્રીમ કોર્ટે 10 જુલાઈ 1997ના રોજ અનિરુદ્ધસિંહને આજીવન કેદની સજા ફટકારી હતી. જો કે ત્યાર બાદ 3 વર્ષે પોલીસ તેને પકડી શકી એટલે કે 2000માં જેલમાં મોકલી દીધો. અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રએ 29 જાન્યુઆરી 2018ના રોજ તત્કાલીન જેલ આઈજી ટી.એસ બિષ્ટને પત્ર લખીને માફી પર મુક્ત કરવાની વિનંતી કરી હતી. આ પત્રને ધ્યાનમાં લઈને તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. એ સમયે અનિરુદ્ધસિંહ જાડેજાએ 18 વર્ષની સજા ભોગવી હતી. આમ, અનિરુદ્ધસિંહ જાડેજાને વર્ષ 2018માં સજામાફી આપીને મુક્ત કરવામાં આવ્યો હતો. અનિરુદ્ધસિંહ જાડેજાની આ સજામાફીને રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં મૃતક ધારાસભ્યના પૌત્ર હરેશ સોરઠિયાએ અરજી કરી હતી. 22 વર્ષના અનિરુદ્ધસિંહે તત્કાલીન MLAની હત્યા કરી હતીગોંડલની સંગ્રામ સિંહજી હાઇસ્કૂલમાં 15 ઓગસ્ટ 1988ના દિવસે ધ્વજવંદન કાર્યક્રમમાં તત્કાલીન ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાને અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 15 ઓગસ્ટ 1988ના રોજ સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમિયાન ધ્વજવંદન કાર્યક્રમમાં કોંગ્રેસના તત્કાલીન ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની ગોળી મારીને જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ટાડા એક્ટ હેઠળ આજીવન કેદની સજા પામેલા રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને વર્ષ 2018માં સજામાફી આપીને મુક્ત કરવામાં આવ્યા હતા. અનિરુદ્ધસિંહ જાડેજાની આ સજા માફીને રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં મૃતક ધારાસભ્યના પૌત્ર હરેશ સોરઠિયાએ અરજી કરી હતી. આ સમા્ચાર પણ વાંચોઃ આ છે ગુજરાતનું 'મિર્ઝાપુર', ત્રણ દાયકામાં ચાર પાટીદાર અને એક ક્ષત્રિયની હત્યા અમિત ખૂંટ આત્મહત્યાકેસમાં 19 ઓગસ્ટે અનિરુદ્ધસિંહના આગોતરા રદગોંડલની સેશન્સ કોર્ટે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે. આ પહેલાં કોર્ટે તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી પણ ફગાવી હતી. અમિત ખૂંટ આત્મહત્યાકેસમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ જાડેજા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયા બાદ હાલ બંનેની શોધખોળ ચાલી રહી છે. ગોંડલ તાલુકા પોલીસે અનિરુદ્ધસિંહ વિરુદ્ધ અમિત ખૂંટને આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધ્યો છે. પોલીસની ચાર્જશીટમાં અનિરુદ્ધસિંહને ફરાર બતાવવામાં આવ્યા છે. સરકારી વકીલની દલીલો ધ્યાનમાં લઈને કોર્ટે 19 ઓગસ્ટે આ નિર્ણય લીધો છે. આ સમાચાર પણ વાંચોઃ મોડેલ સાથે ડ્રાઇવ, જ્યૂસ પીધો ને પછી કારમાં દુષ્કર્મ, આપઘાત કર્યો ને જયરાજસિંહની એન્ટ્રી; જાણો અમિત ખૂંટ કેસનો ઘટનાક્રમ 15 ઓગસ્ટ, 1988ના એ દિવસે શું થયું હતું?અન્ય વીઆઇપી મહેમાનોની સાથે ધારાસભ્ય પોપટભાઇ સોરઠિયા પહેલી હરોળમાં ખુરસીમાં બેઠા હતા. બરોબર તેમની પાછળની ખુરસીમાં એક યુવક બેઠો હતો. પોપટભાઈને ક્યાં ખબર હતી કે મોત તેની પાછળ ભમી રહ્યું છે. યુવકના હાથમાં રૂમાલના પોટલા જેવું હતું. તેણે બરોબર 9.30 વાગ્યે આજુબાજુ નજર કરી... કોઈ જોતું નથી ને એની ખાતરી કરી. પછી પળનો પણ વિલંબ કર્યા વગર રૂમાલમાંથી રિવોલ્વર કાઢી રૂમાલથી જ રિવોલ્વર હાથમાં પકડી. પછી આગળ બેઠેલા પોપટભાઇ સોરઠિયાના માથાના પાછળના ભાગે નાળચું તાણ્યું. પછી પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ઘોડો દબાવ્યો. ધડામ દઇને અવાજ આવ્યો. છૂટેલી ગોળી પોપટભાઇની ખોપસીમાં ઘૂસી ગઇ. નાના મગજમાં ગોળીના છરા ઘૂસી ગયા. સેકન્ડમાં લોહીનો ફુવારો છૂટ્યો. પોપટભાઇ કંઇ સમજે એ પહેલાં તો જમણી બાજુ ફસડાઇ પડ્યા. આંખના પલકારામાં આખો બનાવ બની ગયો હતો. કાર્યક્રમમાં હાજર અમુક મહેમાનોને થયું કે પાછળથી બાળકોએ ફટાકડા ફોડ્યા એનો અવાજ આવ્યો હતો. જ્યારે બીજી તરફ લોહી નિતરતી હાલતમાં પોપટભાઇને નીચે ફસડાતા જોઇ લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. ગોળી મારનારો પકડાયો અને બોલ્યો- હું રીબડાનો અનિરુદ્ધસિંહ છુંપોપટભાઇ સોરઠિયાની બાજુમાં SRPના DySP પી.ડી.ઝાલા બેઠા હતા. અવાજ સાંભળતાં જ તેઓ પોતાની ખુરસી પરથી ઊભા થઇ ગયા. તેમણે જોયું કે ગોળી મારનાર યુવક ભાગી રહ્યો છે. તેમણે તરત દોટ મૂકી યુવકને ઝડપી લીધો હતો. તેને પકડીને પીએસઆઇ રાવત સહિતના પોલીસ સ્ટાફને સોંપ્યો હતો, જ્યાં નામ પૂછવામાં આવતાં જ યુવકે કહ્યું, હું રીબડાનો અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા છું. બીજી તરફ આ જ વખતે ત્યાં બેઠેલા SRPના અન્ય અધિકારી આઇ.બી.શેખાવતે જોયું તો તેમના માથા પરથી કંઇક વસ્તુ વીંટાયેલો રૂમાલ પસાર થયો હતો, જે થોડે દૂર જઇને પડ્યો. તેમણે દોડીને નીચે પડેલો રૂમાલ હાથમાં લીધો, જે ખોલીને જોયું તો એમાં પિસ્તોલ હતી, જે લોડ કરેલી હતી અને એનું ટ્રિગર દબાયેલું હતું. તેમણે એ કબજે લઇ પોલીસને સોંપી હતી. પોપટ સોરઠિયાએ રાજકોટમાં દમ તોડ્યોત્યાર બાદ તરત જ લોહી નિતરતી હાલતમાં પોપટભાઇ સોરઠિયાને જીપમાં સુવડાવી ગોંડલ દવાખાને લઇ જવામાં આવ્યા હતા, પણ હાલત ખૂબ જ ગંભીર હોવાથી તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં રાજકોટ ખસેડાયા હતા, પણ રસ્તામાં જ તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે તેમને 10.15 વાગ્યે લાવવામાં આવ્યા હતા. ફરજ પર હાજર ડૉ. શશિકાંત મોઢા સહિતના ડૉક્ટરોએ તેમને કૃત્રિમ શ્વાસ આપી બચાવવાના પ્રયત્ન કર્યા હતા. આ દરમિયાન રાજકોટના ખ્યાતનામ સર્જન ડૉ. સી.એ.ઠક્કરને પણ બોલાવી લેવામાં આવ્યા હતા, જોકે અનેક પ્રયત્ન છતાં સોરઠિયાને બચાવી શકાયા નહોતા. બીજી તરફ અનિરુદ્ધસિંહ જાડેજાને જીપમાં બેસાડીને 9.55 વાગ્યે ગોંડલ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં 12.15 વાગ્યે SRPના આઇ.બી. શેખાવતે FIR નોંધાવી હતી. ઘટનાની ગંભીરતા જોતાં ખુદ રેન્જ ડીઆઇજી રવીન્દ્ર ભટ્ટાચાર્યએ 12.30 વાગ્યે ગોંડલ પહોંચીને તપાસ શરૂ કરી હતી. સિવિલ હોસ્પિટલમાં નેતાઓ ઊમટી પડ્યાચાલુ ધારાસભ્ય ઉપરાંત લેઉવા પાટીદાર સમાજના કદાવર નેતા, રાજકોટ માર્કેટિંગ યાર્ડના પ્રમુખ પોપટભાઇ સોરઠિયાની ધોળા દિવસે હત્યાના બનાવથી આખા ગુજરાતમાં હાહાકાર મચી ગયો હતો. હુમલાના સમાચાર આગની જેમ ફેલાતાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે તેમના ચાહકો સહિત 5 હજાર લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. આરોગ્યમંત્રી વલ્લભભાઈ પટેલ, સાંસદ રમાબેન માવાણી, પૂર્વ પુરવઠામંત્રી મનોહરસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ રામજી માવાણી સહિત અસંખ્ય નેતાઓ ઊમટી પડ્યા હતા. પોસ્ટમોર્ટમ વિધિ બાદ સોરઠિયાનો મૃતદેહ તેમના પુત્ર લલિતભાઇ અને દિનેશભાઇને સોંપવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 12:23 pm

ખરાબ રસ્તાઓના સમારકામની કામગીરી:નવસારીમાં ખખડધજ માર્ગો પર માર્ગ મકાન વિભાગે ખાડા પૂરવાનું શરૂ કર્યું, વાહનચાલકોને રાહત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ખખડધજ માર્ગો પ્રત્યેના રોષ બાદ માર્ગ અને મકાન વિભાગ સક્રિય બન્યું છે. નવસારી જિલ્લામાં વરસાદ અટકતાની સાથે જ ખરાબ રસ્તાઓના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. નવસારી-ગણદેવી રાજ્ય ધોરીમાર્ગ પર પડેલા ખાડાઓના પેચવર્કનું કામ શરૂ કરવામાં આવ્યું છે. માર્ગ અને મકાન વિભાગના જણાવ્યા અનુસાર, 18 કિલોમીટર લાંબા આ માર્ગ પર જુદી જુદી જગ્યાએ કુલ અઢી કિલોમીટર વિસ્તારમાં ખાડા પડ્યા છે. જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના અન્ય પાંચ માર્ગોની મરમ્મત પણ શરૂ કરવામાં આવી છે. આગામી નવરાત્રી અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરીજનોને જર્જરિત રસ્તાઓ પરથી પસાર થવામાં હાલાકી ન પડે તે માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે, માર્ગ અને મકાન વિભાગની કામગીરીમાં વરસાદ અવરોધરૂપ બની રહ્યો છે. કામ શરૂ થયા બાદ વરસાદ શરૂ થતાં તેને ફરીથી બંધ કરવાની ફરજ પડે છે, જેના કારણે સમારકામની ગતિ ધીમી પડી રહી છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 12:22 pm

સેવન્થ ડે સ્કૂલમાં તપાસ કમિટી પહોચી:સ્કૂલમાં સુરક્ષા વ્યવસ્થા અને જરૂરી ડોક્યુમેન્ટનું નિરીક્ષણ શરૂ, એક મહિનાથી શાળામાં ઓફલાઈન શિક્ષણ બંધ

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં તપાસ કમિટી તપાસ માટે પહોંચી હતી.તપાસ કમિટી દ્વારા વિવિધ મુદ્દે સ્કૂલના અધિકારીઓને સાથે રાખીને તપાસ કરવામાં આવી હતી.આવનાર દિવસમાં ફરીથી સ્કૂલ શરૂ થાય તો સ્કૂલમાં કયા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા તથા સ્કૂલ દ્વારા જે દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા છે તેની ચકાસણી તપાસ કમિટી દ્વારા કરવામાં આવી હતી. ખોખરા વિસ્તારમાં આવેલી સ્કૂલમાં એક મહિના અગાઉ વિદ્યાર્થીઓની હત્યા કરી હતી.જે બાદ ભારે વિરોધ સર્જાયો હતો.એક મહિનાથી સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય બંધ છે.આગામી દિવસમાં સ્કૂલમાં ફરીથી શિક્ષણ કાર્ય શરૂ થાય તેવી શક્યતા છે પરંતુ તે અગાઉ શિક્ષણ વિભાગ દ્વારા રચવામાં આવેલી તપાસ કમિટીના સભ્યો તપાસ માટે સ્કૂલમાં પહોંચ્યા હતા. તપાસ કમિટીના સભ્યો દ્વારા સ્કૂલમાં જરૂરી સુરક્ષા અને સલામતીની વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી હતી.આ ઉપરાંત સ્કૂલમાં ફરીથી વિધાર્થીઓ આવે તો કઈ પ્રકારની વ્યવસ્થા છે તે મામલે પણ તપાસ કરવામાં આવી હતી.સ્કૂલ દ્વારા અગાઉ જે ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યા હતા તે તથા જે ડોક્યુમેન્ટ રજૂ નથી કર્યા તે મામલે તપાસ કરવામાં આવી રહી છે.તપાસ કમિટી દ્વારા રિપોર્ટ તૈયાર કરીને શિક્ષણ વિભાગને સોંપવામાં આવશે જે બાદ સ્કૂલ ફરીથી શરૂ કરવા નિર્ણય કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 12:19 pm

ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમના દરવાજા ફરી ખોલાયા:તાપી નદીમાં 1.30 લાખ ક્યુસેક પાણીની આવક, કોઝવેની સપાટી 8.33 મીટરને પાર

ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાં થયેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. પરિણામે, મંગળવારે બંધ કરવામાં આવેલા ડેમના દરવાજા ફરી ખોલવાની ફરજ પડી છે. હાલમાં ઉકાઈ ડેમમાંથી 1.10 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નદીનું જળસ્તર ભયજનક સપાટીની નજીક પહોંચી ગયું છે. આ પરિસ્થિતિને જોતા તાપી નદીના કિનારે રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉકાઈ ડેમનું જળસ્તર હાલમાં 342.33 ફૂટ પર પહોંચ્યું છે, જે ભયજનક સપાટી 345 ફૂટથી માત્ર 2.67 ફૂટ જ દૂર છે. ઉપરવાસમાંથી સતત પાણી છોડવામાં આવતા ડેમનું લેવલ ઝડપથી વધી રહ્યું છે. ડેમમાં થઈ રહેલી પાણીની ભારે આવકને કારણે, પાણીનું સ્તર નિયંત્રિત કરવા માટે ડેમના દરવાજા ફરીથી ખોલવામાં આવ્યા છે. સુરતના કોઝવેની સપાટી 8.33 મીટરે પહોંચીઆ પ્રવાહની સીધી અસર સુરતના કોઝવે પર જોવા મળી રહી છે. કોઝવેની સપાટી પણ 8.33 મીટર ઉપર પહોંચી ગઈ છે. કોઝવેની ભય જનક સપાટી 6 મીટર છે.કોઝવેમાંથી ઉકાઈ ડેમ માંથી આવેલ પાણી અને સુરત જિલ્લામાં પડેલ વરસાદી પાણી ની આવક હાલ નદીમાં 1.30 લાખ ક્યુસેક છે, જેના કારણે નદીના પ્રવાહમાં નોંધપાત્ર વધારો થયો છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તાપી નદીના કિનારે વસતા નીચાણવાળા વિસ્તારોના રહેવાસીઓને સાવચેત એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. આગામી સમયમાં જો ઉપરવાસમાં વધુ વરસાદ થશે તો પાણીનો પ્રવાહ હજુ વધવાની શક્યતા છે, જેના કારણે સુરત શહેરના કેટલાક નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયાની પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે. મંગળવારે સાંજે ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા હતા, જેથી પાણીનો પ્રવાહ નિયંત્રિત કરી શકાય. પરંતુ, ઉપરવાસમાં અનપેક્ષિત ભારે વરસાદને કારણે ફરીથી ડેમના દરવાજા ખોલવા પડ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર અને સિંચાઈ વિભાગ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે. નાગરિકોને નદી કિનારે ન જવા અને સરકારી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 12:16 pm

7 ફૂટ લાંબા મહાકાય અજગરનું રેસ્ક્યૂ:વડોદરાના આંકોડીયા-કોયલી રોડ પરથી વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટે રેસ્ક્યૂ કરી વનવિભાગને સોંપ્યો

વડોદરા પાસે આવેલ અંકોડિયા- કોયલી રોડ પર એક 7 ફૂટ લાંબા ઇન્ડિયન રોક પાયથન આવી જતા આ અંગેની જાણ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટે કરવામાં આવતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. તાત્કાલિક ટીમ સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ મહાકાય અજગરનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. આ વિસ્તારમાં અજગર હોવાની વિગતો વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમને કરતા તાત્કાલિક અરવિંદ પવારે તેમની ટીમના અનુભવી કાર્યકરો કિરણ શર્મા, હિતેષ પરમાર અને ધ્રુવભાઈને ઘટનાસ્થળે મોકલ્યા હતા. ટીમે સ્થળ પર પહોંચીને જોયું તો એક 7 ફૂટ લાંબો ઇન્ડિયન રોક પાયથન જોવા મળ્યો હતો જે બિન-ઝેરી હોવા છતાં તે મહાકાય હતો. આ અજગરને રેસ્ક્યૂ કરવા માટે ટીમે અડધો કલાક સુધી ભારે જહેમત ઉઠાવી અને અંતે તેને સહી-સલામત કાબૂમાં લીધો હતો. રેસ્ક્યૂ પછી વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમે અજગરને વડોદરા વન વિભાગને સહી સલામત રીતે સોંપ્યો હતો. અવાર નવાર આ પ્રકરણ કોલ મળતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ધોરણે પહોંચી માનવીએ કામગીરી કરી વન્ય જીવોના સંરક્ષણ માટે અનેક પ્રયાસો વર્ષોથી કરે છે. ઇન્ડિયન રોક પાયથન (Python molurus) ભારતનો મૂળ વન્યજીવ છે અને દક્ષિણ એશિયામાં વ્યાપકપણે જોવા મળે છે. આ સાપ બિન-ઝેરી હોય છે અને તે પોતાના શિકારને શરીરથી વીંટી લઈને દબાવીને મારી નાખે છે. સામાન્ય રીતે 6થી 10 ફૂટ લાંબા થતા આ સાપ જંગલો, ખેતરો અને નદીઓની નજીકના વિસ્તારોમાં રહે છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 12:11 pm

જામનગર SP ડો. રવી મોહન સૈની દ્વારા નવરાત્રી સ્થળોનું નિરીક્ષણ:સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા માટે પોલીસ ટીમે સ્થળ તપાસ કરી

આગામી 22 ઓક્ટોબરથી શરૂ થતા નવરાત્રી મહોત્સવ પૂર્વે જામનગરના પોલીસ અધિક્ષક (SP) ડો. રવિ મોહન સૈની અને તેમની ટીમ દ્વારા શહેરના મુખ્ય ગરબા સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ સુરક્ષા વ્યવસ્થા અને ટ્રાફિક નિયમનનું નિરીક્ષણ કરવાનો હતો. SP ડો. સૈની સાથે શહેર વિભાગના DYSP જે. એન. ઝાલા, LCB PI વી. એમ. લગારીયા, સિટી એ ડિવિઝનના PI એન. એ. ચાવડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને તેમનો કાફલો જોડાયો હતો. ટીમે ખાસ કરીને વધુ ભીડ એકત્ર થતી હોય તેવા સ્થળોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. સૌપ્રથમ, ટીમે પ્રદર્શન મેદાનમાં યોજાતા સરગમ નવરાત્રી ગરબા અને ખોડલધામ નવરાત્રી મહોત્સવના સ્થળની મુલાકાત લીધી હતી. અહીં ગરબા મંડળના સંચાલકો સાથે સુરક્ષા વ્યવસ્થા, પાર્કિંગની સુવિધા અને ટ્રાફિક વ્યવસ્થા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. ત્યારબાદ, પોલીસ ટીમે જામનગર શહેર અને આસપાસના અન્ય મોટા નવરાત્રી આયોજન સ્થળોની પણ મુલાકાત લીધી હતી. આ સ્થળોએ સુરક્ષા, પ્રવેશ-નિકાસ દ્વાર, પાર્કિંગ વ્યવસ્થા અને ટ્રાફિક અવરોધ ન સર્જાય તે માટેની ગોઠવણ અંગે આયોજનકર્તાઓને માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. નવરાત્રીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે પોલીસ વિભાગ દ્વારા લોકોની સુરક્ષા અને સુચારુ ટ્રાફિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે આ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા ભવ્ય અને સુવ્યવસ્થિત રીતે ગરબાનું આયોજન થાય તે માટે સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 12:09 pm

માલધારીના આપઘાત મામલે RFO સહિત ત્રણ સામે ફરિયાદ:પરિવારજનોની માગણી સંતોષાતા મોડીરાત્રે મૃતદેહ સ્વીકાર્યો, વનવિભાગના કથિત ત્રાસથી જિંદગી ટૂંકાવી હતી

મેંદરડા તાલુકાના જાંબુથાળા ગામના માલધારી સલીમભાઈ બલોચ મકરાણીના આપઘાતના મામલે મોડીરાત્રે વન વિભાગના અધિકારીઓ સામે ફરિયાદ નોંધાતા પરિવારે આખરે મૃતદેહ સ્વીકાર્યો હતો. સલીમભાઈએ વન વિભાગના કથિત ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી લીધી હતી અને સાત દિવસની સારવાર બાદ તેમનું નિધન થયું હતું. આ ઘટના બાદ છેલ્લા 24 કલાકથી પરિવારજનો અને સમાજના આગેવાનો પોલીસ કાર્યવાહીની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા હતા. ​શું હતો સમગ્ર મામલો?​મળતી માહિતી મુજબ, મેંદરડાના જાંબુથાળા નેસમાં રહેતા માલધારી સલીમભાઈ બલોચ મકરાણીએ વન વિભાગના કથિત ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમના પરિવારજનોનો આરોપ છે કે, વન વિભાગના અધિકારીઓ સલીમભાઈને ખોટી રીતે હેરાન કરતા હતા. તેઓ એવા આરોપો લગાવીને ધમકાવતા હતા કે, સલીમભાઈ બહારથી પશુઓને જંગલમાં ચરાવવા લાવે છે. જો કે, સલીમભાઈએ પોતાની માલિકીના પશુઓ હોવાનું સોગંદનામું આપ્યું હોવા છતાં તેમને હેરાન કરવામાં આવતા હતા અને ઝૂંપડા હટાવવા માટે પણ ધમકીઓ આપવામાં આવતી હતી. આ ત્રાસથી કંટાળીને સલીમભાઈએ આ અંતિમ પગલું ભર્યું હોવાનું પરિવારે જણાવ્યું હતું. ​ગંભીર હાલતમાં સલીમભાઈને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સાત દિવસ સુધી જીવન-મરણ વચ્ચે સંઘર્ષ કર્યા બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. હોસ્પિટલમાં મામલતદાર સમક્ષ આપેલા ડાઈંગ ડિક્લેરેશનમાં પણ તેમણે વન વિભાગના અધિકારીઓના ત્રાસનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હોવાનું કહેવાય છે. ​પરિવારજનોની માંગણી અને સમાધાન​સલીમભાઈના નિધન બાદ પરિવારજનોએ પોલીસ કાર્યવાહીની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. તેમના ભાઈ હનીફભાઈ અને ભીખુભાઈએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી જવાબદાર અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરીને તેમને સસ્પેન્ડ કરી ધરપકડ ન થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. છેલ્લા 24 કલાકથી પરિવારજનો અને સમાજના અગ્રણીઓ આ મુદ્દે પોલીસ સાથે ચર્ચા કરી રહ્યા હતા. આખરે મોડીરાત્રે ઉચ્ચ અધિકારીઓની સમજાવટ અને કાનૂની કાર્યવાહીની ખાતરી મળ્યા બાદ મામલો શાંત પડ્યો હતો. પોલીસે BNS કલમ 108 હેઠળ મેંદરડાના RFO સહિત ત્રણ અધિકારીઓ સામે મરવા મજબૂર કર્યાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. ફરિયાદ નોંધાતા પરિવારે આખરે મૃતદેહ સ્વીકારીને સલીમભાઈના અંતિમ સંસ્કાર કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 12:05 pm

નારાયણ સાંઈની હંગામી જામીન અરજી:બીમાર માતાની સારવાર માટે 45 દિવસના જામીનની માગણી, આજે બપોરે સુનાવણી હાથ ધરાશે

આસારામના પુત્ર અને દુષ્ક્રમના કેસના આરોપી નારાયણ સાંઈએ બિમાર માતાની સારવાર ચાલી રહી હોય 45 દિવસના હંગામી જામીન માગવામાં આવ્યા છે.બે દિવસ પહેલા યોજાયેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટ દ્વારા નારાયણ સાંઈની માતાની ચાલી રહેલી સારવારના યોગ્ય મેડિકલ સર્ટિફિકેટ માગવામાં આવ્યા છે. આ મામલે આજે બપોરે અઢી વાગ્યે વધુ સુનાવણી હાથ ધરાશે. માતા બિમાર હોય 45 દિવસના હંગામી જામીન માગવામાં આવ્યાનારાયણ સાંઈ તરફથી હાઈકોર્ટમાં 45 દિવસના હંગામી જામીન માગતી અરજી કરવામાં આવી છે. નારાયણ સાંઈના વકીલે કોર્ટમાં રજૂઆત કરતા કહ્યું હતું કે, નારાયણ સાંઈના માતાને હોસ્પિટલાઈઝ કરવામાં આવ્યા હતા. હાલ તેને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. બે દિવસ પહેલા યોજાયેલી સુનાવણી દરમિયાન કોર્ટે માતાની ચાલી રહેલી સારવારના યોગ્ય સર્ટિફિકેટ રજૂ કરવા જણાવ્યું હતું. જૂન મહિનામાં પિતાને મળવા માટે 5 દિવસના હંગામી જામીન મંજૂર કર્યા હતાવર્ષ 2019માં સેશન્સ કોર્ટ દ્વારા દુષ્કર્મ કેસમાં નારાયણને દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જેમાં તેણે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી છે અને પોતાની બીમાર માતાને મળવા માટે હંગામી જામીન માંગ્યા છે. જૂન મહિનામાં હાઇકોર્ટે આસારામની તબીબી સ્થિતિ અને પિતા અને પુત્ર વ્યક્તિગત રીતે મળી શક્યા ન હતા તે હકીકતને ધ્યાનમાં લીધા પછી, માનવતાવાદી ધોરણે નારાયણ સાંઈને તેમના પિતા આસારામને મળવા માટે 05 દિવસના હંગામી જામીન મંજૂર કર્યા હતા. સુરતની સેશન્સ કોર્ટે નારાયણ સાંઈને આજીવન કેદની સજા ફટકારી છેઉલ્લેખનીય છે કે 30 એપ્રિલ, 2019ના રોજ સુરતની સેશન્સ કોર્ટ દ્વારા નારાયણ સાંઈને ભારતીય દંડ સંહિતાની કલમ 376(2)(f) 376(k) 376(n), 377, 354, 504 અને કલમ 506(2) હેઠળ સજાપાત્ર ગુનાઓ માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને ડિસેમ્બર 2013થી તે જેલમાં બંધ છે. અરજદારના નારાયણ સાંઈના પિતા આસારામને રાજસ્થાન હાઈકોર્ટે એક અલગ દુષ્કર્મ કેસમાં 30 ઓગસ્ટ સુધીમાં સરન્ડર થવાનું કહ્યું હતું. ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સુરતની યુવતી સાથે દુષ્કર્મના બીજા કેસમાં આસારામની હંગામી જામીન અરજી પર 22મી સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરાવાની છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 11:56 am

​કેશોદના ભાટ સિમરોલી ગામે જનતા રેડ:મહિલા સરપંચના પોલીસ પર ગંભીર આક્ષેપો,ભાટ સિમરોલી ગામે દેશી દારૂ વેચતા તત્વોને લોકોએ ઝડપી પાડ્યા

જૂનાગઢ જિલ્લાના ગામડાઓમાં દેશી દારૂના બેફામ વેચાણ સામે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ભેસાણ અને મેંદરડા બાદ હવે 17 સપ્ટેમ્બરના કેશોદના ભાટ સિમરોલી ગામે સરપંચ સહિતના ગ્રામજનોએ દારૂના અડ્ડાઓ પર જનતા રેડ પાડી છે. આ રેડમાં મહિલા સરપંચ સહિત ગ્રામજનોએ દારૂ વેચતા તત્વોને ઝડપી પાડ્યા હતા અને પોલીસની નિષ્ક્રિયતા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. આ સાથે મહિલા સરપંચે આક્ષેપ કર્યો હતો કે, પોલીસને લેટરપેડ પર જાણ કર્યા બાદ પણ કાર્યવાહી ન કરી. આ લોકો મહિલાઓને હેરાન કરે છે. બેવાર લેખિતમાં પોલીસને રજૂઆત કરી હતીઃ સરપંચ​ભાટ સિમરોલી ગામના મહિલા સરપંચ મેનાબેન ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગામમાં દેશી દારૂનું વેચાણ બેફામ રીતે ચાલી રહ્યું છે, જેના કારણે મજૂર અને ગરીબ પરિવારો હેરાન થઈ રહ્યા છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગ્રામ પંચાયતે પોલીસ સ્ટેશનમાં લેખિતમાં બે વાર રજૂઆત કરી હતી, પરંતુ પોલીસે કોઈ ધ્યાન આપ્યું ન હતું. ​પોલીસ હપ્તા લેતી હોવાનો આક્ષેપ​સરપંચે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, અમે પોલીસને લેટરપેડ ભરીને આપ્યા હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. પોલીસની બેદરકારીથી કંટાળીને ગ્રામજનોએ જાતે જ કાયદો હાથમાં લીધો અને જનતા રેડ પાડી. આ રેડ દરમિયાન મોટીમાત્રામાં દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે સરપંચના જણાવ્યા મુજબ વેપારીઓ મોટાભાગનો દારૂ વેચી ચૂક્યા હતા. ગ્રામજનોની કાયદેસરની કાર્યવાહીની માગ​ગ્રામજનોએ દારૂના ધંધાર્થીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમનું કહેવું છે કે, જ્યાં સુધી પોલીસ આ મામલે ગંભીરતાથી પગલાં નહીં ભરે ત્યાં સુધી ગામમાં શાંતિ જળવાશે નહીં. આ ઘટનાએ ફરી એકવાર ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા દારૂના કાળા કારોબાર અને પોલીસની ભૂમિકા પર પ્રશ્નો ઉભા કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે, સ્થાનિક પ્રશાસન આ મામલે શું પગલાં ભરે છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 11:50 am

માતાનામઢ તરફ આશાપુરા માતાજીના દર્શને ભક્તોનો પ્રવાહ:કચ્છના માર્ગો જય માતાજીના નાદથી ગુંજી ઉઠ્યા, ઠેર-ઠેર સેવા કેમ્પો ધમધમ્યાં

કચ્છની કુળદેવી આઈ આશાપુરા માતાજીના દર્શન માટે પદયાત્રીઓનો પ્રવાહ યાત્રાધામ માતાનામઢ તરફ આગળ વધી રહ્યો છે. અશ્વિન નવરાત્રિના પાવન પર્વ પહેલાં જ લાખોની સંખ્યામાં ભાવિકો પગપાળા ચાલીને મઢ પહોંચી રહ્યા છે, જેના કારણે ભુજ સહિત જિલ્લાના તમામ માર્ગો જય માતાજીના જયકારાથી ગુંજી ઉઠ્યા છે. સરહદી કચ્છ જિલ્લાના છેવાડે આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢમાં સતત ઉમટી રહેલા યાત્રિકોની સેવા-સુશ્રુષા માટે તમામ રસ્તાઓ પર હજારોની સંખ્યામાં સેવા કેમ્પો ધમધમી રહ્યા છે. આ કેમ્પોમાં ચા, નાસ્તો, ભોજન, રહેવાની વ્યવસ્થા અને પ્રાથમિક સારવાર જેવી સુવિધાઓ સેવાભાવી લોકો દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. મોબાઈલ સેવા પણ ઉપલબ્ધ છે. નાના-મોટા વાહનોમાં લગાવેલી સાઉન્ડ સિસ્ટમમાં વાગતા મા શક્તિના ગરબાઓ પગપાળા જતા માઈભક્તોને બળ પૂરું પાડી રહ્યા છે. બાળકોથી લઈને વડીલ વયના શ્રદ્ધાળુઓ પોતાની આસ્થાના બળે મઢ તરફ ડગ માંડી રહ્યા છે. કેટલાક શ્રદ્ધાળુઓ આંખે પાટા બાંધીને તો કેટલાક માતાજીનો ગરબો ઉપાડીને ચાલી રહ્યા છે. જિલ્લા મથક ભુજ શહેરમાંથી પસાર થતા ડબલ માર્ગો હાલ આસ્થાળુઓની હાજરીથી સિંગલ માર્ગ જેવા બની ગયા છે. દિવસ-રાત જનપ્રવાહથી એક અલૌકિક ધાર્મિક માહોલ સર્જાયો છે. અબાલ-વૃદ્ધ સૌ કોઈ જય માતાજીના નાદ પોકારતા જોવા મળી રહ્યા છે.કચ્છના ઉત્તર ગુજરાત તરફના આડેશરથી સૌરાષ્ટ્ર સાથે જોડતા મોરબી માર્ગ પરના સુરજબારીથી લઈને જિલ્લાની સરહદ સુધીના સ્થળોએ સેવા કેમ્પો યાત્રાળુઓના સત્કારમાં પ્રવૃત્ત બન્યા છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 11:41 am

ધોળાપીપળા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત, એક વ્યક્તિનું મોત:ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક ડિવાઇડર કૂદી સામેના રોડ પરથી પસાર થતી અન્ય ટ્રક સાથે અથડાઈ

નવસારી હાઇવે રોડ પર ધોળાપીપળા નજીક બે હાઇવા ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક ટ્રકના ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ટ્રકના ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ધોળાપીપળાથી આમરી તરફ જતા સ્ટેટ હાઇવે પર આ અકસ્માત થયો હતો. ટ્રક નંબર GJ-21-Z-3964 ના ચાલક મનજીતસિંગ સરોજે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. તેમની ટ્રક ડિવાઇડર કૂદીને સામેના રોડ પરથી પસાર થઈ રહેલી ટ્રક નંબર GJ-21-W-9379 સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક રહીશો, રાહદારીઓ અને પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ટ્રકની કેબિનમાં ફસાયેલા બંને ડ્રાઇવરોને બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટ્રક GJ-21-W-9379 ના ચાલક અરુણ મદન મોહન ભારતી (ઉં.વ. 45, રહે. હજીરા, મૂળ બિહાર)નું ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બીજી ટ્રકના ચાલક મનજીતસિંગ શ્રીનાથ સરોજ (ઉં.વ. 32, રહે. ડીંડોલી, મૂળ ઉત્તરપ્રદેશ)ને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે નવસારી રૂરલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 11:07 am

નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં મીટર પેટીમાં ધડાકા સાથે આગ:ઇલેક્ટ્રિક વાયરો દ્વારા ઝડપથી આગ ત્રીજા માળ સુધી ફેલાઈ; 3 ફાયર સ્ટેશનના જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરી દોઢ કલાકે કાબુમાં લીધી

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા મિડાસ સ્ક્વેર પાછળના નવનિર્મિત નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં આજે (18 સપ્ટેમ્બર) વહેલી સવારે આગ લાગવાની ઘટના બની છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગના કારણે માર્કેટમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગ ઇલેક્ટ્રીક વાયરો દ્વારા ઝડપથી ત્રીજા માળ સુધી ફેલાઈ ગઈ હતી, જેના પગલે ત્રણ ફાયર સ્ટેશનની આઠ જેટલી ગાડીઓ દ્વારા દોઢ કલાક પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની પ્રાથમિક શક્યતામળતી માહિતી પ્રમાણે, લિંબાયત વિસ્તારમાં આવેલા મિડાસ સ્ક્વેર પાછળના નવનિર્મિત નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ સવારે લગભગ સાડા પાંચ વાગ્યે માર્કેટના બેઝમેન્ટમાં આવેલી મીટર પેટીમાં ધડાકા સાથે આગ શરૂ થઈ હતી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની પ્રાથમિક શક્યતા છે. બેઝમેન્ટમાં લાગેલી આગ ઇલેક્ટ્રિક વાયરો દ્વારા ઝડપથી ત્રીજા માળ સુધી ફેલાઈ ગઈ હતી. કોપરના વાયરો સળગવાથી ઝેરી અને ગાઢ ધુમાડો ભરાઈ ગયોઃ ફાયર ઓફિસરફાયર ઓફિસર ક્રિષ્ના મોઢે જણાવ્યું હતું કે, ટેકસટાઇલ માર્કેટમાં આગની ઘટનાની જાણ થતાં જ ડુંભાલ, પુણા અને માનદરવાજા ફાયર સ્ટેશનની કુલ આઠ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બેઝમેન્ટમાં રબર અને કોપરના વાયરો સળગવાથી ઝેરી અને ગાઢ ધુમાડો ભરાઈ ગયો હતો, જેના કારણે ફાયર બ્રિગેડના જવાનોને ઓક્સિજન માસ્ક પહેરીને અંદર પ્રવેશ કરવો પડ્યો હતો. ધુમાડો એટલો હતો કે, બહારથી એવું લાગે કે જાણે આખી ટેક્સટાઇલ માર્કેટ સળગી રહી હોય, પણ અંદર ધુમાડો વધુ હતો. દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવીફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને લગભગ દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ માર્કેટ નવનિર્મિત હોવાથી તેમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા હતી, પરંતુ આગ વાયરોમાં લાગી હોવાથી ફાયર સેફ્ટી સિસ્ટમ ઓપરેટ થઈ શકી ન હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ ફાયર બ્રિગેડના અધિકારીઓનું કહેવું છે કે શોર્ટ સર્કિટ જ આગનું મુખ્ય કારણ હોવાની શક્યતા છે. આ ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 11:05 am

રાધનપુર નગરપાલિકામાં મહિલાઓનું વિરોધ પ્રદર્શન:પ્રમુખ ગુમ છે તેવા બેનરો પ્રદર્શિત કરી આક્રોશ વ્યક્ત કર્યો

રાધનપુર શહેરમાં રોડ-રસ્તા, ખુલ્લી ગટર, સ્ટ્રીટ લાઈટ અને રખડતા ઢોર સહિતના અનેક પ્રશ્નોને લઈને નાગરિકોએ નગરપાલિકા કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. વિરોધકર્તાઓએ નગરપાલિકા પ્રમુખ ગુમ છે તેવા બેનરો પ્રદર્શિત કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. શહેરના પ્રશ્નોની રજૂઆત કરવા માટે નગરસેવક જયાબેન ઠાકોર સહિત અનેક મહિલાઓ પ્રમુખના કાર્યાલયે પહોંચી હતી. જોકે, પ્રમુખ ગેરહાજર રહેતા નાગરિકોમાં નારાજગી વધી હતી. વિરોધકર્તાઓએ પ્રમુખની ખુરશી પર પ્રમુખ ગુમ છે અને નગરપાલિકાના પ્રવેશદ્વાર પર સત્તાધિશોને પ્રજાની ચિંતા નથી, નાગરિકો આશા ન રાખે તેવા બેનરો લગાવ્યા હતા. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પીવાનું પાણી, વરસાદી પાણીનો નિકાલ, દવા છંટકાવ અને સફાઈ સહિતના મુદ્દાઓ મુખ્યત્વે ઉઠાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સફાઈ કર્મચારીઓને સુરક્ષા કિટ અને પગાર વધારો આપવાની પણ માંગણી કરવામાં આવી હતી. નાગરિકોએ ચીફ ઓફિસરને આવેદનપત્ર સુપરત કરીને શહેરમાં વસ્તીની સામે કર્મચારીઓની ઓછી સંખ્યાનો મુદ્દો પણ રજૂ કર્યો હતો. નાગરિકોનો આક્ષેપ છે કે પ્રમુખ સતત ગેરહાજર રહેતા હોવાથી શહેરીજનોની સમસ્યાઓનો ઉકેલ આવતો નથી અને લોકોમાં નારાજગી વધી રહી છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 10:53 am

ફેક બેંક એકાઉન્ટના વિવાદમાં યુવકનું અપહરણ:7.5 લાખના ટ્રાન્ઝેક્શનને લઈ સાત અજાણ્યા શખસોએ ટુ-વ્હીલર પર આવી ઉઠાવી ગયાં, પોલીસે મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો

સુરતના ગોડાદરા વિસ્તારમાં એક યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય કારણ ફેક બેંક એકાઉન્ટનો વિવાદ હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને અપહ્યત યુવકને સુરક્ષિત મુક્ત કરાવ્યો હતો અને આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીને ઝડપી પાડ્યા છે. આ ઘટનાની મળતી વિગતો અનુસાર, યુવકના મિત્રના પિતાએ તેના પર 7.5 લાખ રૂપિયા ઉપાડી લેવાનો આરોપ લગાવ્યો હતો. મિત્રોએ યુવકનું અપહરણ થયાની પિતાને જાણ કરી16 સપ્ટેમ્બર, 2025ના રોજ રાત્રે લગભગ 11:00 વાગ્યે ગોડાદરામાં રહેતા બબલુ છોટેલાલ માહોર (ઉં.વ.44)ના પુત્ર સંદીપ માહોરનું અપહરણ થયું હતું. બબલુ માહોર પાણીપુરીની લારી ચલાવે છે. તેઓ જ્યારે ઘરે પરત ફર્યા, ત્યારે તેમના પુત્રના મિત્રો રાજ મનોજ મંડલ અને સૌરભ શર્માએ તેમને જાણ કરી કે, સંદીપનું અપહરણ થયું છે. અપહરણકર્તાઓ કાળી ટોપી પહેરીને આવ્યાં હતાંતેમના જણાવ્યા મુજબ, લગભગ 10:30 વાગ્યે તેઓ અને સંદીપ પટેલનગર બ્રિજ નીચે આવેલા 'ઇન્સ્ટા ચાય' પાનના ગલ્લા પાસે બેઠા હતા. રાત્રે 11:00 વાગ્યે છથી સાત અજાણ્યા શખસો કાળી ટોપી પહેરીને ટુ-વ્હીલર પર ત્યાં આવ્યા હતાં. તેઓએ તરત જ સંદીપને પકડી લીધો અને તેને કહ્યું કે, તું અમને ફેક બેંક એકાઉન્ટના કેસમાં પકડાવી દીધા છે, જેમાં મારા રૂપિયા ખર્ચાઈ ગયા છે, એ બધા રૂપિયા અમને પાછા આપી દે. આમ કહીને તેઓએ તેની સાથે બોલાચાલી કરીને સંદીપને એક મોટરસાઇકલની વચ્ચે બેસાડીને પટેલનગરબ્રિજ તરફ લઈ ગયા હતા. પોલીસે મોબાઈલના લોકેશનના આધારે યુવકને શોધી કાઢ્યોઆ ઘટનાની જાણ થતા જ ગોડાદરા પોલીસે તત્કાળ કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કર્યો હતો. મોબાઈલ લોકેશન ટ્રેસ કરતા સંદીપનું લોકેશન કડોદરા ચાર રસ્તા તરફનું જણાઈ આવ્યું હતું. પોલીસની સર્વેલન્સ ટીમ તરત જ તે સ્થળે પહોંચી હતી. પોલીસના દબાણને કારણે અપહરણકર્તાઓએ સંદીપને કડોદરા ચાર રસ્તા પર ઉતારીને ત્યાંથી ભાગી ગયા હતા. પોલીસે સંદીપને સુરક્ષિત રીતે શોધી કાઢ્યો અને તેનો કબજો લીધો હતો. બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યાપોલીસે વધુ તપાસ કરતા બે આરોપી રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ ચાવડા (ઉં.વ.19, રહે. પાંડેસરા) અને અશોકકુમાર જાનકીલાલ સેન (ઉં.વ. 58, રહે. ડીંડોલી)ને ઝડપી પાડ્યા. પોલીસની પૂછપરછમાં અશોક સેને કબૂલ્યું કે, આ ઘટના પાછળ બેંક એકાઉન્ટનો વિવાદ હતો. તેણે જણાવ્યું કે, લગભગ ચાર-પાંચ મહિના પહેલાં તેનો પુત્ર કમલેશ સેન મની ટ્રાન્સફરનું કામ કરતો હતો. તેણે તેના મિત્ર સંદીપ માહોરને બેંક એકાઉન્ટ ખોલવા માટે 10,000 રૂપિયા આપ્યા હતા. બાદમાં, તે એકાઉન્ટમાંથી કોઈએ 7.5 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. અન્ય આરોપીઓની શોધખોળકમલેશ સેનને શંકા હતી કે, આ રૂપિયા સંદીપે જ ઉપાડી લીધા છે. જ્યારે કમલેશે સંદીપ પાસે આ રૂપિયાની માંગણી કરી અને સંદીપે પૈસા આપવાની ના પાડી, ત્યારે તેમણે સંદીપનું અપહરણ કર્યું હતું. હાલમાં, આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. ગોડાદરા પોલીસ સ્ટેશન આ કેસની વધુ તપાસ કરી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 10:50 am

યાત્રી સેવા દિવસે જ મુસાફરોને અસુવિધા:રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શ્વાનોનું શયનાસન, ટર્મિનલમાં દૈનિક 1500 હવાઈ મુસાફરને ચડવા માટેની ઇલેક્ટ્રિક સીડી બંધ

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર યાત્રી સેવા દિવસે જ અસુવિધાઓ સામે આવી હતી. અહીં એરપોર્ટનું મુખ્ય ટર્મિનલ કે જ્યાં હવાઈ મુસાફરોની એન્ટ્રી-એક્ઝિટ થતી હોય છે ત્યાં જ શ્વાનો સુતા હોય તેવા દૃશ્યો સામે આવ્યા હતા. આ સાથે જ એરપોર્ટમાં ફ્લાઈટમાં જવા માટેની ઇલેક્ટ્રિક સીડી બંધ હાલતમાં જોવા મળી હતી. આ સિવાય એરપોર્ટ ટર્મિનલમાં એક બંધ હોલમાં અનેક નવી નકોર ખુરશીઓ જોવા મળતા આશ્ચર્ય સર્જાયું છે. યાત્રી સેવા દિવસે જ સુવિધાઓના છીંડાદેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 27 જુલાઈ, 2023ના રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસેના હિરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે તેના 2 વર્ષ બાદ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઈ નથી અને મુસાફરલક્ષી અનેક અસુવિધાઓ સામે આવતી રહે છે. ત્યારે યાત્રી સેવા દિવસે જ સુવિધાઓના છીંડા સામે આવ્યા હતા. જેનાથી હવાઈ મુસાફરો પરેશાન થયા છે. હવાઈ મુસાફરોને ચડવા માટેની ઇલેક્ટ્રિક સીડી બંધરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવેશ કરતાની સાથે જ પ્રવેશદ્વારે શ્વાનોનું શયનાસન જોવા મળ્યુ હતું. જે બાદ એરપોર્ટ ટર્મિનલમાં ફ્લાઇટમાં જવા માંગતા હવાઈ મુસાફરોને ચડવા માટેની ઇલેક્ટ્રિક સીડી બંધ હાલતમાં જોવા મળી હતી. આ સમયે ત્યાં રીપેરીંગ ચાલી રહ્યું હતું. જેઓને પૂછવામાં આવ્યું કે કેટલા સમયથી ઇલેક્ટ્રિક સીડી ખરાબ છે ત્યારે તેમણે હમણાં જ ઇલેક્ટ્રિક સીડી ખરાબ થઈ ગયાનો જવાબ આપ્યો હતો. એરપોર્ટ પરથી દૈનિક અવરજવર કરતી 9 જેટલી ફ્લાઇટમાં 3000 હવાઈ મુસાફરોની અવરજવર રહે છે. જેમાંથી દરરોજ 1500 જેટલા મુસાફરોને ફલાઇટમાં જવા માટે ટર્મિનલની ઇલેક્ટ્રિક સીડી ખોટવાઈ ગઈ છે. આટલી બધી ઓફિસ ચેરની ખરીદી શા માટે કરી?જે બાદ એરપોર્ટ ટર્મિનલના ATC ટાવરની બાજુમાં જ એક મોટો હોલ બંધ હાલતમાં જોવા મળ્યો. જેમાં મોટી સંખ્યામાં ઓફિસ ચેર પડેલી હતી. આ ઓફિસ ચેર નવીનકોર હાલતમાં છે. મહત્વની વાત એ છે કે આટલી બધી ઓફિસ ચેરની ખરીદી શા માટે કરવામાં આવી અને ખરીદી બાદ આ ખુરશીઓ શા માટે અહીં ઉપયોગ વિનાની પડેલી છે તે સૌથી મોટો સવાલ છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 10:49 am

250 કરોડના બેનામી વ્યવહારો મળ્યા:મોરબી-રાજકોટમાં IT વિભાગનું લેવિસ-મેટ્રો ગ્રુપ પર મેગા સર્ચ, રૂ. 11 કરોડની રોકડ અને રૂ. 5 કરોડની જવેલરી જપ્ત કરાઈ

મોરબી અને રાજકોટમાં IT વિભાગના મેગા સર્ચ ઓપરેશને સૌરાષ્ટ્રના ઉદ્યોગ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. મોરબીના જાણીતા લેવિસ અને મેટ્રો સિરામિક ગ્રુપ પર આવકવેરા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસમાં અત્યાર સુધીમાં 11 કરોડની રોકડ અને 5 કરોડની જવેલરી જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, તપાસ દરમિયાન 250 કરોડ રૂપિયાથી વધુના બેનામી હિસાબો મળી આવ્યા છે, જે અત્યાર સુધીની સૌથી મોટી કરચોરીનો ખુલાસો કરે છે. હાલ આ તપાસ પૂર્ણતાનાં આરે છે. મેગા સર્ચ ઓપરેશનની વિગતોરાજકોટ ઈન્વેસ્ટિગેશન વિંગના જોઇન્ટ કમિશનરના નેતૃત્વ હેઠળ, આ વર્ષનું સૌથી મોટું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. રાજકોટ સહિત ગુજરાતના 250 જેટલા અધિકારીઓ, ટેકનિકલ ટીમ અને પોલીસ કાફલા સાથે, મોરબીના લેવિસ, લીવા, મેટ્રો, મોર્ડન, અને ઇડનહિલ ગ્રુપના 40 સ્થળોએ એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આ 40 સ્થળોમાંથી 30 તો માત્ર માલિકો અને ભાગીદારોના નિવાસસ્થાનો જ હતા, જે દર્શાવે છે કે આ તપાસ માત્ર વ્યાપારી એકમો પૂરતી સીમિત નથી. પ્રથમ દિવસે જ 3 કરોડની રોકડ જપ્તઆ સર્ચ ઓપરેશનની શરૂઆતમાં જ, પ્રથમ દિવસે રાજકોટમાં રહેતા એક ભાગીદારના ઘરેથી રૂ. 3 કરોડની બિનહિસાબી રોકડ મળી આવી હતી. ત્યારબાદ તપાસ આગળ વધતાં બીજા દિવસે અન્ય સ્થળોએથી પણ મોટી માત્રામાં રોકડ અને જવેલરી જપ્ત કરવામાં આવી, જેનો આંકડો 11 કરોડ રૂપિયાની રોકડ અને 5 કરોડની જવેલરી પર પહોંચ્યો છે. આ તપાસમાં સિરામિક એસોસિયેશનના પૂર્વ પ્રમુખ રાજુભાઈ ધમાસણા, તેમજ ધીરુભાઈ રોજમાળા અને જીતુભાઈ રોજમાળા સહિતના ભાગીદારો અને તેમના એકાઉન્ટન્ટ્સ રડાર પર આવ્યા છે. 250 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યાઆ ગ્રુપ દ્વારા ટાઇલ્સના ઉત્પાદનમાં ઓછો નફો બતાવી મોટા પાયે કરચોરી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. ઈન્કમટેક્સ વિભાગે છેલ્લા પાંચ મહિનાથી આ ગ્રુપના હિસાબોની ઝીણવટભરી તપાસ કરી હતી, અને મહિનાઓના હોમવર્ક બાદ આ મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન 250 કરોડ રૂપિયાથી વધુના બેનામી હિસાબો અને દસ્તાવેજો મળી આવ્યા છે, જે કરચોરીના કદને દર્શાવે છે. આ આંકડો હજુ પણ વધી શકે છે કારણ કે ડિજિટલ ડેટાનું અવલોકન હજુ પણ ચાલુ છે. ડિજિટલ ડેટા પર ધ્યાન કેન્દ્રિતઆવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, અધિકારીઓ હાલ ડિજિટલ ડેટા મળવાની રાહ જોઈ રહ્યા છે. આ ગ્રુપના કોમ્પ્યુટરો અને અન્ય ડિજિટલ ઉપકરણોમાંથી મળનારી માહિતી આ તપાસ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. ડિજિટલ પુરાવાઓને આધારે, આ તપાસ વધુ ઊંડાણપૂર્વક થઈ શકે છે અને કરચોરીના વધુ પડકારોનો પર્દાફાશ થઈ શકે છે. તપાસ પૂર્ણતાના આરેઆજથી વિવિધ એકમોમાં ચાલતા સર્ચ ઓપરેશનને આટોપી લેવામાં આવશે. આ મેગા સર્ચ ઓપરેશન શુક્રવારે સત્તાવાર રીતે Conclude થશે. જોકે, ડિજિટલ ડેટાનું અવલોકન અને અન્ય દસ્તાવેજોની ચકાસણીની પ્રક્રિયા હજુ પણ ચાલુ રહેશે. મોરબીની બે આંગડિયા પેઢી પર પણ તપાસ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ દરોડાથી સિરામિક, કન્સ્ટ્રકશન અને કોટન ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 10:47 am

હિંમતનગર નગરપાલિકાએ સ્વચ્છતા રેલી યોજી:વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પાલિકાના સભ્યો જોડાયા

હિંમતનગર નગરપાલિકા દ્વારા ગુરુવારે સવારે સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી બેરણા રોડ પર આવેલી ફેઈથ સ્કૂલથી શરૂ થઈ હતી, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, પાલિકાના સદસ્યો અને કર્મચારીઓ જોડાયા હતા. આ રેલી 'સ્વચ્છતા હી સેવા-2025' અભિયાન અંતર્ગત 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી આયોજિત 'સ્વચ્છ પખવાડિયા'ના ભાગરૂપે યોજાઈ હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.ફેઈથ સ્કૂલ ખાતેથી પાલિકાના સદસ્યો દ્વારા લીલી ઝંડી આપીને રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ સ્વચ્છતા અંગેના જાગૃતિ પ્લેકાર્ડ સાથે જોડાયા હતા. આ રેલી બેરણા રોડ પર ફરીને પરત સ્કૂલ ખાતે સમાપ્ત થઈ હતી.આ રેલીમાં નગરપાલિકાના સદસ્યો, વિવિધ વિભાગના વડાઓ, સફાઈ કર્મીઓ અને પાલિકાના અન્ય કર્મચારીઓ પણ ઉત્સાહભેર જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 10:46 am

મોરબી IT રેડમાં બે દિવસમાં 11 કરોડ રોકડ મળી:250 કરોડના બેનામી હિસાબ મળ્યા, 5 કરોડ જ્વેલરી જપ્ત; 32 બેંક એકાઉન્ટ સીલ

મોરબીમાં આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલી રેડમાં અત્યાર સુધીમાં 250 કરોડ રૂપિયાથી વધુના બેનામી હિસાબો મળી આવ્યા છે. આ ઉપરાંત, 11 કરોડ રૂપિયાથી વધુની રોકડ અને 5 કરોડ રૂપિયાની જ્વેલરી પણ જપ્ત કરવામાં આવી છે. વિભાગે 32 બેંક એકાઉન્ટ સીલ કર્યા છે અને સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે, જેના કારણે બેનામી સંપત્તિનો આંકડો વધવાની શક્યતા છે. આવકવેરા વિભાગની 40 જેટલી ટીમોએ મંગળવારે વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં મોરબીના ચાર અગ્રણી ગ્રુપ પર એકસાથે દરોડા પાડ્યા હતા. આ સર્ચ ઓપરેશનમાં તમામ ભાગીદારોના રહેણાંક મકાનો, ઓફિસો અને કારખાનાઓમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. છેલ્લા બે દિવસથી આઇટી વિભાગના અધિકારીઓ દ્વારા આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.જે ચાર ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા છે તેમાં લેવીસી સિરામિક ગ્રુપ, મેટ્રો સિરામિક ગ્રુપ, ઇડન ગ્રુપ અને મોર્ડન હોમ પ્લાન ગ્રુપનો સમાવેશ થાય છે. આ ગ્રુપોના ભાગીદારોના સ્થળોએ મંગળવારે સવારે 5 વાગ્યાથી તપાસ શરૂ થઈ હતી.અધિકારી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જે પેઢીઓ પર રેડ કરવામાં આવી છે તેના ડિજિટલ ડેટાનું અવલોકન હાલમાં ચાલી રહ્યું છે. આવતીકાલે રેડની કામગીરી પૂર્ણ થવાની શક્યતા છે, પરંતુ બેનામી હિસાબો અંગેની તપાસ હજુ ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 10:39 am

કાનડા ગામે વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી:સાંસદ-ધારાસભ્યની હાજરીમાં કેક કાપી, ડાયરાનું આયોજન

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કાનડા ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કેક કાપવામાં આવી હતી અને ડાયરાનું પણ આયોજન કરાયું હતું. આ ઉજવણીમાં સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના સાંસદ અને હિંમતનગરના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ બુધવારે ઉજવાયો હતો. આ ઉજવણી સવારથી શરૂ થઈને મોડી રાત સુધી ચાલી હતી. ભાજપ કાર્યકરો અને પ્રજાજનોએ વિવિધ સેવા કાર્યો કરીને આ દિવસની ઉજવણી કરી હતી. બુધવારે રાત્રે કાનડા ગામે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા અને હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા અગ્રણીઓ સાથે પહોંચ્યા હતા. તેમણે ફોઈબાના મંદિરે દર્શન કરી પ્રાર્થના કરી હતી. ત્યારબાદ ગામમાં ગ્રામજનો વચ્ચે પાંચ કિલોની કેક બાળકોના હસ્તે કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હિંમતનગર તાલુકા ભાજપ પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, જિલ્લા ભાજપના મહામંત્રી વિજયભાઈ પંડ્યા, સાબરકાંઠા જિલ્લા ક્ષત્રિય સમાજના પ્રમુખ ગજેન્દ્રસિંહ ચૌહાણ અને કાનડા ગામના યુવા સરપંચ મનહરસિંહ ભારતસિંહ ઝાલા સહિત ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ડાયરાનો લાભ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 10:30 am

બગસરાની SBI બેંકમાં મોડી રાત્રે આગ લાગી:બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો, નુકસાન અંગે તપાસ શરૂ

અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં બસસ્ટેન્ડ પાસે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) શાખામાં મોડી રાત્રે આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જ અમરેલી ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા માટે કામગીરી શરૂ કરી હતી. બેંકમાં ચારે તરફ આગ ફેલાઈ ગઈ હતી અને ધુમાડો વધુ હોવાને કારણે ફાયર જવાનોને આગ પર નિયંત્રણ મેળવવામાં મુશ્કેલી પડી રહી હતી. ઇમર્જન્સી ફાયર ટીમે વોટર બાઉઝર સાથે પાણીનો મારો ચલાવ્યો હતો અને પોર્ટેબલ વેન્ટિલેશન ફેનનો ઉપયોગ કરીને ધુમાડો ઓછો કર્યો હતો. બે કલાકથી વધુ સમય સુધી સતત પાણીનો મારો ચલાવ્યા બાદ અમરેલી ફાયર ટીમ દ્વારા આગ સંપૂર્ણપણે કાબુમાં લેવામાં આવી હતી. આ કામગીરીમાં જિલ્લા ફાયર ઓફિસર એચ.પી. સરતેજા, સાગરભાઈ પુરોહિત, ભગવતસિંહ ગોહિલ, નિલેશભાઈ સાનિયા, હર્ષપાલસિંહ ગઢવી, કૃષ્ણભાઈ ઓળકીયા, મિલનભાઈ ગાંભવા અને ભીખુભાઈ સહિતની ફાયર ટીમના કર્મચારીઓ જોડાયા હતા. જોકે, આગને કારણે બેંકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. નુકસાનના ચોક્કસ અંદાજ અને કારણો જાણવા માટે આજે દિવસભર તપાસ હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 18 Sep 2025 10:18 am