દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... અમારા વિભાગમાં કંઈ સારા સૂચનો હોય તો જણાવજો...નવા મંત્રીઓએ પોતાના કાર્યાલયમાં ચાર્જ સંભાળી લીધાને પણ હવે મહીનો વીતી ગયો છે. આમ છતાં હજુ તેઓ સાવ નવા નિશાળિયા જેવા લાગી રહ્યા છે. સચિવાલયમાં સ્વર્ણિમ-1 અને સ્વર્ણિમ-2 સંકુલમાં બેસતા મંત્રીઓને મળવા આવી રહેલા મુલાકાતીઓ હજુ પણ ફુલના ગુલદસ્તા લઈને આવે છે. મંત્રીઓ પણ તેમની સાથે હસી હસીને ફોટા પડાવે છે. હાલમાં ચારથી પાંચ મંત્રીઓને બાદ કરતા મોટાભાગના મંત્રીઓ પોતાના વિભાગની કામગીરીને સમજી રહ્યા છે. તેઓ પોતાના વિભાગના આઈએએસ અધિકારીઓ સાથે મિટિંગો કરીને વિગતો પણ લઈ રહ્યા છે. પ્રેઝન્ટેશન જોઈને તેઓ સમજવાનો પ્રયાસ કરે છે. આમછતાં હજુ તેઓના મનમાં જાતજાતની ગુંચવણો છે. કોની ઉપર કેટલો વિશ્વાસ મુકવો તે પ્રશ્ન પણ તેમના માટે મોટો છે. આથી તેઓ નિર્દોષ ભાવે કેટલાક અધિકારીઓને તેમજ મળવા આવતા મુલાકાતીઓમાંથી જે બુદ્ધીજીવી લાગે તેની સાથે મનની વાત કરે છે. તેમને કહે છે કે, જો તમારી પાસે અમારા વિભાગને લગતા કોઈ સલાહ સૂચનો હોય તો જણાવજો. મંત્રીઓની આવી નિખાલસતા જોઈને સચિવો પણ ખુશ થઈ ગયા છે. સીએમને કોઈએ કહ્યું કે, આપણે આમની જરૂર નથી, વિદાય આપોમંત્રીમંડળના વિસ્તરણ પહેલા શહેરી વિકાસ વિભાગ મુખ્યમંત્રી પાસે હતો. મુખ્યમંત્રી પાસે અનેક મહત્વની વિભાગો હોવાથી શહેરી વિકાસના તજજ્ઞ ગણાતા પૂર્વ અધિકારી ચૈતન્ય શાહને CMOમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે મુકાયા હતા. જે કે, તેમના આવ્યા બાદ તેમની કામ કરવાની સ્ટાઈલથી ઘણા લોકો અને ખુદ અધિકારીઓ પણ નારાજ હતા. એ સમયે પણ આ સંદર્ભમાં કોઈએ સીએમનુ ધ્યાન દોર્યુ હતું. ચૈતન્ય શાહ હવે સાવ નવરા થઈ ગયા છેહવે શહેરી વિકાસ ખાતું કનુભાઈ દેસાઈ પાસે છે. જેથી હવે ચૈતન્ય પાસે શહેરી વિકાસ વિભાગની કોઈ જ કામગીરી રહી નથી. મુખ્યમંત્રી પાસે મહેસુલ ખાતું છે પરંતુ જે બી ગોર સીએમઓમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે મહેસુલની બાબતો જોઈ રહ્યા છે. સચિવાલયમાં થઈ રહેલી ચર્ચા મુજબ, ચૈતન્ય શાહ હવે સાવ નવરા થઈ ગયા છે. જેથી અમુક અધિકારીઓએ તો મુખ્યમંત્રીનુ આ સંદર્ભમાં ધ્યાન દોરીને કહ્યું છે કે, તેઓ એક મહીનાનો એક લાખથી વધુનો પગાર અને અન્ય સુવિધાઓ મેળવી રહ્યા છે. હવે તેનું CMOમાં કોઈ કામ રહ્યું નથી, માટે તેમને વિદાય આપી દેવી જોઈએ. એક ચર્ચા એવી છે કે, આગામી ટૂંક સમયમાં CMOમાંથી ચૈતન્ય શાહને વિદાય અપાશે. પોતાને હવે ગમે ત્યારે CMOમાંથી જવું પડશે એવો અણસાર આવી જતા શહેરી વિકાસના અધિકારીઓને વિવિધ કામ માટે ભલામણ કરી રહ્યાની ચર્ચા છે. વાઘાણીએ પોતાની ખુરશી પાસે નાની રેલિંગ મુકાવી દીધીકેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગત અઠવાડીયા દરમિયાન સ્વર્ણિમ-1 સંકુલમાં આવેલા પોતાના કાર્યાલયમાં પોતાની ખુરશીની નજીક એક નાની બેરીકેડ્સ મુકાવી દીધી છે. જે જોઈને ઘણા લોકોને આશ્ચર્ય થઈ રહ્યું છે. મંત્રીની ઓફિસમાં મંત્રીની ચેરની સામેની સાઈડમાં ઘણી ખુરશીઓ મુકેલી હોય છે. જ્યાં મુલાકાતીઓ બેસીને મંત્રી સાથે વાતચીત કરી શકે છે. જ્યારે મંત્રીની ડાબી બાજુએ બે ખુરશી હોય છે. જેમાં ધારાસભ્ય અથવા તો સાંસદ કે પછી જો કોઈ મંત્રી મળવા આવે તે ત્યાં બેસતા હોય છે. મંત્રી ઓફિસમાં એન્ટ્રી કરીને પોતાની ચેર સુધી પહોંચી ગયા બાદ ધારાસભ્યની ખુરશી મુકાઈ છે, તેની બાજુમાં જ નાની આડસ મુકી દેવાઈ છે. જો આ આડશ ન હોય તો પછી ઘણા મુલાકાતીઓ છેક મંત્રીની ચેર સુધી જતા હોય છે. તેઓ ત્યાં જઈને મંત્રી સાથે હાથ મિલાવી તેમને શુભેચ્છા આપતા હોય છે. એટલું જ નહીં મોટાભાગના મુલાકાતીઓ મંત્રીઓ સાથે સરળતાથી ફોટો પણ પડાવી લેતા હોય છે. પરંતુ હવે આ નાની બેરીકેડ મુકવાને કારણે મુલાકાતીઓ ત્યાં સુધી જઈ શકતા નથી. મંત્રી ઈચ્છે તો જ આ આડશને દૂર કરવામાં આવે છે. જેને લઈને મુલાકાતીઓમાં પણ એક પ્રકારનો ગણગણાટ શરુ થયો છે. સત્તાનું હસ્તાંતરણ કરવાની પ્રક્રિયા અટકી પડીમંત્રીમંડળના વિસ્તરણ બાદ હજુ મોટાભાગના મંત્રીઓને હજુ તેમના પીએ-પીએસનો સ્ટાફ પણ મળ્યો નથી એટલે જે કામચલાઉ સ્ટાફ અપાયો છે તેનાથી ચલાવવું પડે છે. ઉપરાંત જે તે વિભાગના સેક્રેટરી તરફથી નવા મંત્રીઓ પાસે પાવરનુ હસ્તાંતરણ કરાવાની પ્રક્રિયા કરવાની હોય છે જેને પાવર ઓફ ડેલિગેશન કહેવાય છે. જેમાં વિભાગ તરફથી મંત્રીને છાપેલુ ફોર્મ અપાતું હોય છે. આ ફોર્મમાં ઘણા પ્રકારની ડીટેઈલ હોય છે. એટલે કે, મંત્રી પાસે કેટલી અને કેવા પ્રકારની સત્તા રહેશે અને વિભાગના સેક્રેટરી પાસે કેટલી સત્તા રહેશે તેનો નિર્ણય મંત્રીએ કરવાનો હોય છે. જેમાં બદલીઓ,ટેન્ડર સહીતની મહત્વની કામગીરીનો સમાવેશ થઈ જાય છે. જે તે મંત્રી પોતાની મરજી મુજબ પાવરનુ હસ્તાંતરણ કરતા હોય છે. પરંતુ તે જાણીને આશ્ચર્ય થશે કે હજુ ઘણા મંત્રીઓને આ બાબતની પણ જાણકારી નથી. ભૂતકાળમાં જ્યારે પણ નવું મંત્રીમંડળ રચાયું કે વિસ્તરણ થયું ત્યારે પાવર ઓફ ડેલિગેશન મોડું થવાની સ્થિતિમાં અગાઉના પાવર ઓફ ડેલિગેશન મુજબની કામગીરી કરાઈ હતી. એટલે અત્યારે પણ સ્થિતિ એવી ગણી શકાય. પાવર ઓફ ડેલિગેશન નહીં થાય ત્યાં સુધી અગાઉના મંત્રીએ જે તે વિભાગને જેટલી સત્તા ફાળવી હશે એટલી જ સત્તાથી કામગીરી થતી રહેશે. એક જ ચર્ચા, CMO અને હોમમાં કોને અને ક્યારે મુકાશેમુખ્ય સચિવ બન્યા પછી પણ એમ કે દાસ પાસેથી હોમ ખાતાનો વધારાનો હવાલો પાછો લેવાયો નથી. ગુજરાતમાં આ પ્રથમ ઘટના છે કે મુખ્ય સચિવ પાસે કોઈ ખાતાનો વધારાનો હવાલો હોય. ઉપરાંત દાસ CMOમાં પણ એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. આ જગ્યા પણ હજુ ખાલી છે. જેને કારણે ગાંધીનગરના વિવિધ વિભાગોમાં બેસતા બ્યુરોક્રેટસમાં એક જ ચર્ચા થઈ રહી છે કે, આ બન્ને મહત્વની ખાલી જગ્યા પરની નિમણૂંકમાં સરકાર કેમ વિલંબ કરી રહી છે. સિનિયર આઈએએસ અધિકારીઓ પણ એકબીજાને પૂછી રહ્યા છે કે, CMOમાં કોણ મુકાશે તમને કંઈ અંદાજ છે. કેટલાક અધિકારીઓ એકબીજાને પૂછી રહ્યા છે કે, CMOમાં હવે સીએમ પાસે ઓછા ખાતા રહ્યા છે તેથી અહીં કદાચ કોઈને તાત્કાલિક રીતે નહીં મુકે. પરંતુ હોમ ડિપાર્ટમેન્ટનો હવાલો કોને મળી શકે છે તે જણાવોને… આમ ટોચના અધિકારીઓ પણ આ બન્ને ખાલી પડેલી જગ્યા અંગે સતત ચર્ચા કરતા હોય છે. સાયન્સ એન્ડ ટેકનોલોજીના વિભાગના કાર્યક્રમમાં સેક્રેટરી જ ગેરહાજર ગત અઠવાડીયા દરમિયાન ગાંધીનગરમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા હેલિપેડ ખાતે મહત્વની ઈવેન્ટ યોજાઈ હતી. ગુજરાતમાં ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રનો વિકાસ થાય તેમજ અન્ય રાજ્ય અને વિદેશમાંથી કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા આવે તેવા હેતુથી ઈલેક્ટ્રોનિક્સ ફોર યુ એક્સ્પોનો પ્રારંભ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયાએ કરાવ્યો હતો. આ પ્રસંગે ડીએસટી વિભાગના સેક્રેટરી પી.ભારતી ક્યાંય દેખાતા નહોતા. આટલી મહત્વની ઈવેન્ટમાં તેમની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી. જો કે, ડીએસટીના તાબા હેઠળ આવતા GSEM એટેલે કે ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશનના મિશન ડાયરેક્ટર નેહા કુમારી હાજર રહ્યા હતા. જેને પગલે સચિવાલયમાં એવી ચર્ચા છે કે, આ ઈવેન્ટને નાની સમજીને મોટા મેમે નાના મેમને તેમાં હાજરી આપવીની સૂચના આપી હતી. જો કે ત્યાર બાદ ઈલેક્ટ્રોનિકસ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરીંગ સ્કીમ પર ગાંધીનગરમાં રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં પી ભારતી અને નેહાકુમારી બન્ને હાજર રહ્યા હતા. જેથી અમુક અધિકારીઓ મજાકમાં કહે છે કે, જો સતત બીજી મહત્વની ઈવેન્ટમાં હાજર ન રહે તો પછી મેમને કદાચ ઠપકો પણ સાંભળવો પડત. માટે જ તેઓ હાજર રહ્યા હશે. પ્રહલાદ મોદીએ મોના ખંધારની માફી માગીઅમદાવાદ કલેક્ટર ઓફિસમાં સસ્તા અનાજના વિક્રેતાઓ સાથેની બેઠકમાં ફેર પ્રાઈઝેશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ આક્રોશ સાથે કહ્યુ કે, વિભાગ તાનાશાહી ચલાવે છે, માટે આંદોલન ચાલુ જ રહેશે.અધિકારીઓ સામે બુમ બરાડા પાડ્યા હતા. અમછતા આ વિભાગના સેક્રેટરી મોના ખંધારે શાંતિ રાખી હતી. તેમજ અધિકારીઓને શાંત રહેવા કહ્યું હતું. આ ઉપરાંત કહ્યું કે, પ્રહલાદભાઈ તમારો ગુસ્સો શાંત થાય પછી આપણે ચર્ચા આગળ ધપાવીશુ. બીજી બાજુ, 6000થી વધુ દુકાનદારોને ચેનલ દ્વારા જ ચૂકવણુ કરવા માટે પ્રોત્સાહીત કર્યા હતા. તેમજ ઘઉં ચાખા વગેરેનુ ડિસ્ટ્રીબ્યુશન શરુ કરી દેવાયું હતું. આખરે વિભાગની સમજાવટને કારણે હડતાલને સમાપ્ત કરી દેવાઈ હતી. તડાફડી બોલ્યા બાદ ભુલ સમજાઈ જતા પ્રહલાદ મોદી અને કેટલાક દુકાનદારોએ મોટું મન રાખીને મોના ખંધારને મળીને નિખાલસતાથી કહ્યું કે, મેડમ અમારાથી ગુસ્સામાં કદાચ થોડું વધારે બોલી જવાયું હોય તો માફ કરશો. મેડમે પણ કહ્યું કે, કોઈ વાંધો નહીં, મને તમારાથી જરાય ખોટું લાગ્યું નથી આવું બધું ચાલ્યા કરે. IAS અધિકારી આગળ અને મંત્રીઓ-નેતાઓ પાછળરાજ્યના એક IAS અધિકારી ભાજપના ઉચ્ચ નેતાઓની આગળ પાછળ ખૂબ ફરતા હોવાની ચર્ચા છે. આ અધિકારી મુખ્યમંત્રી અથવા તો અન્ય કોઈ મંત્રી કે રાષ્ટ્રીય નેતાના કાર્યક્રમ હોય ત્યારે બીજા ભાજપના નેતાઓના વચ્ચે ફરતા જોવા મળે છે. રાષ્ટ્રીય નેતાઓ જ્યારે ગુજરાતમાં આવે છે અને કોઈ કાર્યક્રમ હોય ત્યારે ભાજપના મંત્રી કે નેતાઓની જગ્યાએ તેમની સાથે IAS અધિકારી આગળ અને મંત્રીઓ-નેતાઓ પાછળ હોય છે. ગુજરાતના મોટા શહેરમાં ફરજ બજાવનારા IAS અધિકારીને રાજકીય નેતાઓ સાથે ઘરોબો રાખવો ખૂબ ગમતો હોવાની ચર્ચા છે. તાજેતરમાં જ ભાજપના એક કાર્યક્રમમાં IAS અને IPS બંને અધિકારીઓ પ્રથમ હરોળમાં બેઠેલા જોવા મળ્યા હતા. જ્યારે બીજા ભાજપના ઉચ્ચ નેતાઓને પાછળ અને છેલ્લે બેસવું પડ્યું હતું. ભાજપના નેતાઓ વચ્ચે જ આ અધિકારી જોવા મળી રહ્યા છે ત્યારે ભાજપના કાર્યક્રમમાં અધિકારીને જોઈને અન્ય અધિકારીઓમાં ચર્ચા છે કે આજે નહીં તો કાલે આ સાહેબ રિટાયર્ડ થઈને ભાજપમાં જ જોડાઈ જશે અને નેતાજી બની જશે. ચાંદખેડાના વિકાસનો ચંદ્ર ઉગતો નથી, વોર્ડ હાથમાંથી જવાનો ભયસરદાર પટેલની 150મી જન્મ જયંતીને લઈ ભાજપ દ્વારા તમામ વિધાનસભામાં સરદાર યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને પાટીદાર વિસ્તારોમાં આ યાત્રાને લઈને પાટીદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંતુ અમદાવાદના છેવાડે આવેલા ચાંદખેડામાં પાટીદારો હોવા છતાં પણ ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના વિસ્તારમાં સમાવિષ્ટ ચાંદખેડા વોર્ડમાં યુનિટી માર્ચનું આયોજન ન કરવામાં આવતા સ્થાનિકો ચર્ચા છે કે ગાંધીનગર દક્ષિણ વિધાનસભામાં ચાંદખેડા વિસ્તાર તેમજ પાટીદારો પણ મતદારો હોવા છતાં આ વિસ્તારમાંથી યુનિટી માર્ચ યોજી નથી. ચાંદખેડા વોર્ડની રાજકીય રીતે ભાજપમાં ઉપેક્ષા કરવામાં આવતી હોવાની હવે કાર્યકરોમાં ચર્ચા છે, કાર્યક્રમોથી લઈ અને નેતાઓને પણ આ વિસ્તારમાં રસ ન હોવાને લઈ ચૂંટણીમાં ભાજપને ચારમાંથી બધી બેઠકો ગુમાવવી પડે તેવી ચર્ચા છે. ધારાસભ્યો અને હોદ્દેદારો મિટિંગોમાં વ્યસ્ત, કામો પડ્યા રહે છેદરેક વિધાનસભામાં યુનિટી માર્ચનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી. જેના પગલે ધારાસભ્યો અને શહેરના હોદ્દેદારો સાથે મિટિંગો કરવામાં આવી હતી. ધારાસભ્યો બે થી ત્રણ વખત અધિકારીઓ સાથે મિટિંગ કરતા હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનના કામો અટવાઈ પડ્યા હતા. જેના કારણે પ્રજાના કામો ન થતાં નાગરિકોમાં પણ રોષ ફેલાયો હતો. અમદાવાદના નાગરિકો રોડ, પાણી, ગટર તેમજ સ્ટ્રીટ લાઈટો જેવી પ્રાથમિક સુવિધાઓને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અવારનવાર ફરિયાદો કરી રહ્યા છે, રોજની હજારોની સંખ્યામાં ફરિયાદ મળે છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પ્રજાના કામો મિટિંગોને કારણે કરી ન શકતા હોવા અંગેની ચર્ચા શરૂ થઈ છે. એક તરફ પ્રજાના કામો માટેની ચર્ચા કરવાની હોય, પરંતુ કાર્યક્રમમાં જ વ્યસ્ત રહેતા અધિકારીઓ પ્રજાના રોડ પાણી ગટરના કામો પૂરા ન થતા હવે ચૂંટણીમાં નેતાઓને મત આપવા માટે કામ પુરા ન થયા હોવા અને માટે મ્હેણા ટોણા મારે તો નવાઈ નહીં મેયર મેડમ તો દિલ્હીના મુખ્યમંત્રી અંગે પણ સાંભળી ન શક્યાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં વિપક્ષ નેતા દ્વારા શહેરમાં હવાની ગુણવત્તાને લઈને ભાજપના સત્તાધીશોનો કાન આમળવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં દિલ્હીમાં તો હવે ભાજપની સરકાર છે, જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે તમે દિલ્હી પ્રદૂષિત હોવાની વાતો કરતા હતા હવે દિલ્હીમાં એટલી ખરાબ હોવા છે તમે બોલતા નથી એવું કહેતા જ દિલ્હીના મહિલા મુખ્યમંત્રી વિશે મેયર સાંભળી શક્યા નહીં અને વિપક્ષના નેતાને કહ્યું હતું કે તમે અહીંની વાત કરો. અધિકારીઓના આંકડાને ભાજપ જ જૂઠ જૂઠ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો છેલ્લા કેટલાય સમયથી નાગરિકના પ્રજાના પ્રશ્નોનો યોગ્ય નિર્ણયથી લઈ અને કામગીરી ઝડપી ન કરાવી શકતા હોવાને લઈને વિપક્ષ સામાન્ય સભામાં વ્હાઇટ ટોપિંગ મામલે અધિકારીઓએ જ આપેલા આંકડા બોલતો હતો ત્યારે ભાજપના કોર્પોરેટરો પાછળથી જૂઠ જૂઠ કરીને વિપક્ષને ખોટા ગણાવી રહ્યા હતા. પરંતુ ભાજપના કોર્પોરેટરો ભૂલી ગયા હતા કે એમની જ સત્તામાં જે અધિકારીઓ છે તે ખોટા આંકડા આપી રહ્યા છે. ભાજપના જ ચેરમેનને આંકડાઓની ખબર નથી અને તેમને આપતા નથી એ ભૂલી અને જુઠ્ઠા જુઠ્ઠા ગણાવી દીધા હતા. IAS અધિકારી મોબાઇલમાં મસ્ત, પ્રજાના પ્રશ્નોને લઈ પેટનું પાણી હલ્યું નહીંરાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા એવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેમાં 12 હજાર કરોડ રૂપિયાનું બજેટ વાપરવામાં આવે છે. કરોડો રૂપિયા ગટર સફાઈ પાછળ ખર્ચવામાં આવે છે. જેમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવનારા IAS અધિકારીઓના પેટનું પાણી હલતું નથી કારણ કે જ્યારે વિપક્ષના કોર્પોરેટરો દ્વારા શહેરમાં ડ્રેનેજની સફાઈમાં ખોટા બિલો બનાવી અને મંજૂર કરાવવામાં આવતા હોવા અંગેની રજૂઆત કરવામાં આવતી હતી, ત્યારે IAS અધિકારીઓ પોતાના મોબાઈલ જોવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા. એકપણ IAS અધિકારીને જાણે અમદાવાદીઓના પ્રજાના ટેક્સના પૈસા અને તેમને પ્રાથમિક સુવિધાઓમાં તકલીફ પડે છે તેની બાબતો જાણવામાં રસ ના હોય તેમ મોબાઈલમાં મસ્ત રહેતા હતા. બે અધિકારીઓ તો ના છૂટકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય અને જલ્દી બદલી થાય એવી ચર્ચા જાગી છે. લ્યો બોલો...ગેરકાયદે બાંધકામમાં ભ્રષ્ટાચારનું નવું જ મોડલઅમદાવાદના કોટ વિસ્તારમાં અનેક ગેરકાયદે બાંધકામો છે. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવે છે અને સાઇટને સીલ કરવામાં આવે છે, તેમ છતાં પણ કેટલાક ગેરકાયદે બાંધકામ કરનારા લોકો નોટિસની અવગણના કરીને સીલ તોડી બાંધકામ કરી દે છે. જે બાબતે પોલીસ ફરિયાદ નોંધવાની હોવા છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ એક સાથે મળીને લાખો રૂપિયાનો વહીવટ કરી દેતા હોવાની ચર્ચા છે. શહેરના જમાલપુર, ખાડિયા, કારંજ, કાલુપુર, ગાયકવાડ હવેલી, દરીયાપુર અને શાહપુર વિસ્તારમાં ગેરકાયદે બાંધકામોમાં મધ્ય ઝોનના કેટલાક અધિકારીઓ અને પોલીસના કેશિયરો ભેગા મળીને બાંધકામ સાઈટમાં લાખો રૂપિયાનો વહીવટ કરતા હોવાની ચર્ચા છે. જે બાંધકામમાં વહીવટ ન થાય એમાં પોલીસ બંદોબસ્ત આપીને ડિમોલિશન કરવામાં આવે છે. કોટ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામોમાં એસ્ટેટ અધિકારીઓ અને પોલીસની મિલીભગતથી બધું ચાલતું હોવાની ચર્ચા છે. પ્રદેશ પ્રમુખના આગમનની ખુશમાં ઢોલ વગડાવતા નેતાને સ્પષ્ટ સૂચના આપીગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રવિવારના રોજ અમદાવાદના અલગ અલગ મતવિસ્તારમાં આવેલા બુથો ઉપર SIRની કામગીરી માટે ગયા હતા. જ્યારે પ્રદેશ પ્રમુખ સૌપ્રથમ ઓઢવમાં પહોંચ્યા ત્યારે ઢોલ નગારા વગેરે સાથે સ્વાગત કરવાની તૈયારીઓ કરવામાં આવી હતી. જેને લઈને પ્રદેશ પ્રમુખ સ્થાનિક ભાજપના નેતાઓ ઉપર ખૂબ જ નારાજ થયા હતા. પ્રદેશ પ્રમુખ BLO અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા જે ફોર્મ ચકાસણીની તેમજ ભરવાની કામગીરી કરવાની હતી તેમાં જાણે કોઈ ભવ્ય કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ ભાગ લેવા આવ્યા હોય તેમ ભાજપના સ્થાનિક નેતાઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી. જેને લઇને પ્રદેશ પ્રમુખે નારાજગી વ્યક્ત કરી હતી. પ્રદેશ પ્રમુખ જ્યારે ફોર્મ ચકાસણી અંગેની નિરીક્ષણ કરી રહ્યા હતા ત્યારે તેમને સાંભળવામાં તકલીફ પડી હતી. જેથી ભાજપના નેતાને તેમણે સ્પષ્ટ સૂચના આપવી પડી હતી કે ઢોલ નગારા બંધ કરાવો. જે બાદ પ્રદેશ પ્રમુખ અન્ય બે જગ્યાએ પહેલા પહોંચ્યા ત્યારે ભાજપના શહેરના હોદ્દેદારો ત્યાં પહોંચી ગયા હતા અને ઢોલ નગારા કે અન્ય કોઈ કાર્યક્રમ ન થાય તેનું ધ્યાન રાખી સૂચના આપવી પડી હતી.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સની આર્ટ ગેલેરી ખાતે રાજકોટ શહેરની વિકાસ યાત્રા અંતર્ગત 'રાઈઝીંગ રાજકોટ' પ્રદર્શન ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખુલ્લું મૂક્યું હતું. જેમાં 'રાજકોટની કલ આજ ઔર કલ' એટલે કે રાજકોટનો ભવ્ય ભૂતકાળ, જાજરમાન વર્તમાન કાળ અને ઉજ્જવળ ભવિષ્ય દર્શાવતી અનેક તસવીરો અને પ્રતિકૃતિઓ મુકવામાં આવી છે. 400 વર્ષની ઐતિહાસિક સફરના સાક્ષી રહેલા રાજકોટની આ વિકાસ યાત્રા અને પ્રગતીની ઝલક બતાવતા પ્રદર્શનમાં 6 ગેલેરીમાં રાજકોટ શહેરનો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના વિકાસના રોડમેપથી માહિતગાર થઇ શકાય છે. એટલું જ નહીં આ પ્રદર્શનમાં વડાપ્રધાન મોદી સાથે અટલ સરોવરમાં ફોટો પડાવવો તેમજ સ્માર્ટ સિટીમાં નિર્માણ પામનાર વર્કિંગ વુમન હોસ્ટેલનો 3D નઝારો અને આઝાદી પૂર્વેના દુર્લભ ફોટાઓ પણ જોવા મળે છે. આરામદાયક ખુરશીમાં બેસી જુઓ વર્કિંગ વુમન હોસ્ટેલનો 3D નજારો'રાઈઝીંગ રાજકોટ' પ્રદર્શન માણવા આવેલા શીતલબેન મહેતાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, અહીં રાજકોટનો 20 વર્ષ અગાઉનો ઇતિહાસ કેવો હતો તેની દુર્લભ તસવીરો જોવા મળી છે. આ તસવીરોની ગોઠવણ ખૂબ સરસ રીતે કરવામાં આવી છે. તેમજ AI દ્વારા દરેક વ્યક્તિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોટો પડાવી શકે છે. જેમાં મારા ભાઈનો ફોટો અટલ સરોવરનાં લોકેશન પર પડાવ્યો હતો. આ સુવિધા ખરેખર અદ્ભૂત છે. એટલું જ નહીં ન્યુ રાજકોટનાં સ્માર્ટ સિટીમાં વર્કિંગ વુમન હોસ્ટેલ બનવા જઈ રહી છે. આ હોસ્ટેલ કેવી હશે તેને 3D તરીકે જોઈ શકાય છે. આરામદાયક ખુરશી પર બેસીને જેમ કોઈ 3D મુવી જોતા હોઈએ તેમ આંખ ઉપર ડિવાઇસ લગાવીને આ હોસ્ટેલનું મોડલ બતાવવામાં આવે છે, જે ખરેખર અકલ્પનીય છે. વધુમાં વધુ લોકો અહીં આવે અને રાજકોટનો ઇતિહાસ તેમજ ભવિષ્યમાં અહીં જે નવી સુવિધાઓ મળવાની છે તેની ઝલક નિહાળે તેવી મારી અપીલ છે. પ્રદર્શનમાં રાજકોટના ઔદ્યોગિક વિકાસ વિશે જાણકારીએક જમાનો હતો કે, જ્યારે રાજકોટ અને સૌરાષ્ટ્ર પણ જળ કટોકટીગ્રસ્ત પ્રાંત તરીકે ઓળખાતા હતાં. જેમ બેન્કની કેશ વાનને ચોકીની જરૂર પડે એમ રાજકોટમાં પાણીના ટેન્કરને ચોકીની જરૂર પડતી હતી. અરે, એ સમય પણ હતો કે, જ્યારે ટ્રેન મારફતે રાજકોટ શહેરની જનતાને પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યું હતું. હવે આજના સમયની વાત કરીએ તો ચોમાસામાં વરસાદ ઓછો થયો હોય તો પણ રાજકોટ શહેરના લોકોને નિયમિતરીતે પાણી મળે રહે છે અને એ શક્ય બન્યુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશીપૂર્ણ યોજનાથી, આ યોજના મારફત પહોંચતા થયેલા નર્મદા નીરના પરિણામે રાજકોટની જળ કટોકટી ભૂતકાળ બની ગઈ છે. ભૂતકાળની આ જળકટોકટી અને બાદમાં છેલ્લા 20 વર્ષમાં જળ વ્યવસ્થાપન ક્ષેત્રે આવેલા પરિવર્તન તેમજ રાજકોટના ઔદ્યોગિક વિકાસ વિશે જાણકારી પણ આ પ્રદર્શનમાં આપવામાં આવી છે. ભવિષ્યમાં કેટલી સુવિધાઓ ઉપલબ્ધ થશે તેની ઝીણવટભરી વિગતોઆ ઉપરાંત રાજકોટ અને રૂડા દ્વારા બનનાર રિંગ રોડ-2નો પ્રોજેક્ટ શહેરના તથા આજુબાજુના વિસ્તારોના વિકાસ માટેનો “એક્સપ્રેસ વે” સમાન બની રહેવાનો છે. આ પ્રોજેકટની તસવીરો અને કટઆઉટ સાથે માહિતી અહીં આપવામાં આવી છે. વિશેષમાં આ ગેલેરી રાજકોટ મહાપાલિકાની નવી અર્બન પોલિસી વિશે મુલાકાતીઓને માહિતગાર કરે છે. રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ–2025ની ઉજવણી અંતર્ગત અનેકવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ સૂચવવામાં આવ્યા છે. જેને પણ જુદા-જુદા કુલ 6 પિલરમાં વિભાજીત કરવામાં આવ્યા છે. ગેલેરી નં.6 માં તેની વિસ્તૃત માહિતી દર્શાવવામાં આવી છે. આમ 'રાઈઝીંગ રાજકોટ' પ્રદર્શન દ્વારા હાલમાં જે રાજકોટ છે તે અગાઉ કેવું હતું અને ભવિષ્યમાં કેટલી નવી સુવિધાઓ ઉપલબ્ધ થશે તેની ઝીણવટભરી વિગતો આપવામાં આવી છે. PM મોદી સાથે અટલ સરોવરમાં એક AI ફોટો'રાઈઝીંગ રાજકોટ' પ્રદર્શનમાં આઝાદી પૂર્વેના રાજકોટ શહેરની આજે મોડર્ન સિટી બનવા સુધીની શાનદાર સફરની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી એરિયામાં નિર્માણ પામનાર વર્કિંગ વૂમન્સ હોસ્ટેલના પ્રોજેક્ટની જાણકારી આપવામાં આવી છે, જેમાં આ હોસ્ટેલનું મોડેલ તેમજ આ પ્રોજેક્ટની રૂપરેખા કેવી છે તેની વીડિયો ફિલ્મ પણ જોવા મળે છે. એટલું જ નહીં વડાપ્રધાન સાથે અટલ સરોવરનાં જુદા-જુદા 4 લોકેશનો પર AIની મદદથી ફોટો પડાવી શકાય છે. QR કોડને સ્કેન કરતા આ ફોટો સીધો મોબાઈલમાં આવી જાય છે. ખુદ મુખ્યમંત્રીએ પણ આ પ્રદર્શનનાં ખૂબ વખાણ કર્યા હતા. ત્યારે રાજકોટિયનો આગામી 21 ડિસેમ્બર સુધી સવારે 10થી રાત્રે 10 સુધી આ પ્રદર્શન નિહાળવા મોટી સંખ્યામાં ઉમટી પડશે તેવું લાગી રહ્યું છે.
'ઓમા... કિશુ... જલદી... દાદાને ઉપર બોલાવ...''મમ્મી... કેમ ચીસો પાડે છે? શું થયું?...''જલ્દી દાદાને બોલાવ... તારા પપ્પા...'સંગીતાબેન રૂમનું એ દ્રશ્ય જોઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. શું કરવું, કોને કહેવું, ઘડીક તો કાંઈ સમજાયું નહિ. રાત્રે બે વાગ્યા સુધી સંગીતાબેનના શિક્ષક પતિ અરવિંદભાઈ વાઢેર SIRની કામગીરી કરતા હતા. ફોર્મ ચેક કરતા હતા. પત્ની સંગીતાબેન પણ મદદ કરતાં હતાં. રાત્રે બધા સૂઈ ગયા. સવારે સાડા છ વાગ્યે સંગીતાબેન નિંદરમાંથી જાગ્યાં. બાજુમાં જોયું તો પતિ અરવિંદભાઈ સૂતા નહોતા. તેમણે ઘરમાં તેમને શોધ્યા પણ મળ્યા નહિ. ઉપરના ભાગે બાજુના રૂમમાં ખોલીને જોયું તો અરવિંદભાઈ આત્મહત્યા કરી ચૂક્યા હતા. તારીખ 21 નવેમ્બર 2025 ના રોજ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આવેલ દેવળી ગામમાં રહેતા શિક્ષક અને ચૂંટણી પ્રક્રીયામાં BLOની કામગીરી કરતાઅરવિંદભાઈ વાઢેરે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. આ ઘટનાથી રાજ્યના આખા શિક્ષણ જગતમાં ઘેરા પ્રત્યાધાત પડ્યા આ ઘટના બાદ લોકો ચર્ચા કરતા થયા છે કે SIRની પ્રક્રીયામાં BLOને એવું તો કેવું દબાણ કરવામાં આવતું હશે કે કોઈ આત્મહત્યા કરવા મજબૂર થઈ જાય? ભાસ્કર ઘટનાની હકીકત જાણવા આત્મહત્યા કરનાર BLO શિક્ષક અરવિંદભાઈ વાઢેરના ઘરે પહોંચ્યું હતું. પરિવાર કેમ FIR કરવાની ના પાડે છે? પરિવારની શું માંગ છે? બનાવ બન્યાની રાત્રે અરવિંદભાઈએ શું કર્યું? કામ માટે તેમને આપવામાં આવતાં દબાણની ઘરમાં કોઈને વાત કરી હતી કે નહીં? આ તમામ સવાલના જવાબ જાણીશું આજના ગ્રાઉન્ડ રિપોર્ટમાં.... ભાસ્કરની ટીમ ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આવેલ દેવળી ગામે પહોંચ્યું તો અહીં બધા લોકો અરવિંદભાઈ વિશે જ વાત કરી રહ્યા હતા. ગામમાં તેમના ઘરે પહોંચ્યા તો ઘરમાં રોકકળ હતી. અરવિંદભાઈની માતાના આસું નહોતા સુકાતા, પિતા આઘાતમાં સરી પડ્યા છે. અરવિંદભાઈનાં પત્ની સંગીતાબેન તેમના 10 વર્ષના બાળકની સામે જોઈ જોઈને વિચાર કરે છે કે, હવે તેઓ જીવન કેમ જીવશે? ઘરમાં પોલીસ પંચનામું કરી રહી હતી. તેમનાં પત્ની અને અન્ય પરિવારજનોના નિવેદન લખવામાં આવી રહ્યા હતા. ભાસ્કરની ટીમે દુ:ખમાં સરી પડેલા પરિવાર સાથે વાત કરી. જેમાં જાણવા મળ્યું કે, તે દિવસે અરવિંદભાઈનાં પત્ની પોતાના નિત્યક્રમ મુજબ સવારે 6:30 વાગ્યાની આસપાસ ઉઠી ગયાં. બાજુમાં જોયું તો તેમના પતિ હાજર ન હતા તેમને એવું કે કદાચ બાથરૂમ ગયા હશે. પરંતુ બાથરૂમમાં પણ નહોતા અને જેવા જ રૂમની બહાર નીકળીને બાજુના રૂમમાં જોયું તો અરવિંદભાઈ પંખે લટકેલી હાલતમાં હતા. બનાવ બન્યો ત્યારે અરવિંદભાઈના માતા પિતા ઘરની નીચેના રૂમમાં હતા ઉપરના રૂમમાં અરવિંદભાઈ તેમના પત્ની અને તેમનો 10 વર્ષનો દીકરો હતા. પોતાના પતિને આ હાલતમાં જોઈને અરવિંદભાઈ ની પત્નીએ તરત બુમો પાડવા લાગ્યા જેથી તેમના સસરા નીચેથી દોડીને ઉપર આવ્યા અને આજુબાજુના લોકો પણ ભેગા થઈ ગયા. તાત્કાલિક 108 બોલાવવામાં આવી જ્યાં તેમને કોડીનારની સિવિલ હોસ્પિટલ લઈ જવાયા પરંતુ ત્યાં સુધીમાં તો તેમણે પ્રાણ છોડી દીધા હતા. બનાવ બન્યાના બે કલાક બાદ હોસ્પિટલમાં પોલીસ પણ આવી ગઈ. ઘરના જે રૂમમાં આત્મહત્યા કરી હતી તે રૂમમાંથી તેમની પત્નીને સુસાઇડ નોટ મળી હતી તે તેમને પોલીસને આપી દીધી. ભાસ્કરે પરિવાર સાથે વાત કરતાં ઘરના લોકોનું કહેવું છે કે, હવે અમારો માણસ પાછો આવવાનો નથી, તો કોઈ અધિકારી પર કાર્યવાહી કરીને શું મતલબ છે. એટલે પરિવારે FIR કરાવવાની પણ ના પાડી દીધી. તેમણે ફક્ત એટલી જ માંગ કરી કે, તેમને આર્થિક સહાય આપવામાં આવે અને અરવિંદભાઈની જગ્યાએ તેમનાં પત્ની સંગીતાબેનને શિક્ષકની નોકરી આપવામાં આવે એજ સાચો ન્યાય ગણાશે. જો આવું થાય તો તેઓ તેમનું જીવન નિર્વાહ કરી શકે અને તેમના બાળકને ભણાવી શકે. કારણ કે, હવે પરિવારની બધી જ જવાબદારી સંગીતાબેનના માથે આવી ગઈ છે. અરવિંદભાઈનાં પત્ની સંગીતાબેને PTCનો કોર્સ પણ કરેલો છે એટલે શિક્ષિકા તરીકે નોકરી મળવા સક્ષમ ગણાય. જે દિવસ સવારે બનાવ બન્યો તેની મોડી રાત સુધી BLO અરવિંદભાઈએ રાત્રે 2:00 વાગ્યા સુધી તેમનાં પત્ની સાથે SIRની કામગીરી કરી હતી. તેમનાં પત્ની સંગીતાબેને ભાસ્કરને જણાવ્યું કે રાત્રે કામ કરતી વખતે તેમના મોઢા ઉપર કોઈ જાતનો તણાવ નહોતો અને કોઈપણ જાતનું કોઈ દબાણ દેખાતું નહોતું. તેમને તેમના સાહેબોના ફોન આવતા હતા ખરા પરંતુ તેમને મોઢાં ઉપર એવું કોઈ જ પ્રકારનું દબાણ નહોતું દેખાતું. BLO શિક્ષકે આત્મહત્યા કરી હોવાની વાત અને સુસાઇડ નોટ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તંત્ર પણ હરકતમાં આવી ગયું હતું. કોડીનારના ધારાસભ્ય અને સરકારમાં મંત્રી પ્રદ્યુમન વાજા પણ હોસ્પિટલ દોડી ગયા હતા. જિલ્લાના કલેક્ટર, જિલ્લાના એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ દોડી ગયા હતા. માજી સાંસદ દીનુભાઈ સોલંકીએ પણ હોસ્પિટલ આવીને પરિવારને સાંત્વના પાઠવી હતી. પરિવારે લાશ ન સ્વીકારવાની સાથે માગ કરી હતી કે તમને આર્થિક સહાય મદદ મળે અને તેમનાં પત્નીને તેમના પતિની જગ્યાએ સરકારી શિક્ષકની નોકરી મળે. તેમનાં પત્નીએ પણ PTC કરેલું છે. આ બધી રકઝક એક કલાક ચાલી હતી અંતે તંત્રએ અને મંત્રી પ્રદ્યુમન વાજાએ આશ્વાસન આપ્યા બાદ પરિવારે લાશ સ્વીકારી હતી. અરવિંદભાઈ તેમના પરિવારનો મુખ્ય આધાર સ્તંભ હતા. તેમના માતા દૂધીબેન વૃદ્ધ હોવાથી બરાબર ચાલી પણ નથી શકતા. પિતા મૂળજીભાઈ વાઢેર સરકારી શિક્ષક હતા, જે નિવૃત્ત થઈ ગયા છે. પત્ની સંગીતાબેને પીટીસીનો કોર્સ કરેલો છે પરંતુ તેઓ ઘર સાચવે છે. અને તેમનો 10 વર્ષનો દીકરો ક્રિશ્ય વાઢેર છઠ્ઠા ધોરણમાં ભણે છે.અરવિંદભાઈના લગ્ન 2010માં ગામમાં જ રહેતા સંગીતાબેન સાથે થયા હતા. અરવિંદભાઈ એકદમ શાંત અને સરળ સ્વભાવના હતા. અરવિંદભાઈ કોડીનારના છારા ગામમાં છેલ્લા 15 વર્ષથી એક સરકારી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. મૃતક BLO અરવિંદભાઈના પિતા મૂળજીભાઈ વાઢેર સાથે ભાસ્કરે વાતચીત કરતાં પિતાએ ભારે હૈયે જણાવ્યું કે, આ બનાવથી અમારા ઘર ઉપર મોટો આઘાત લાગેલો છે. સ્કૂલનું ભણતર પતાવીને મારો દીકરો અરવિંદ સાંજે ઘરે આવતો અને એ પછી SIRની કામગીરીમાં લાગી જતો હતો. મોડી રાત્રે 12:00 1:00 વાગ્યા સુધી કામગીરી કરતો. અમુકવાર તો બે ત્રણ પણ વાગી જતા હતા. એ તો રાત્રે ઊંઘતો પણ નહતો. અમુકવાર રાત્રે તેમના અધિકારીઓનો ફોન આવતો ત્યારે અમને તેઓ જોર જોરથી ફોન પર વાતો કરતો હતો. ખાલી અમને સંભળાતું હતું. મારા દીકરાને આર્થિક રીતે કોઈ જ તકલીફ નહોતી. ઘરમાં પણ તેની પત્ની સાથે બધું જ સારું બનતું હતું. પરંતુ આ કામગીરીની ઘરમાં કોઈને ચર્ચા કરી નહીં અને ડાયરેક્ટ આ પગલું ભરી લીધું. હજી હું જીવું છું અને મારો દીકરો રહ્યો છે. અમે ઘેરા આપઘાતમાં જતાં રહ્યા છીએ. તેની પત્નીને તેના બાળકને કે સહાય મળે તેવી સરકાર સમક્ષ તમારી માંગ છે. મૃતક બીએલઓ અરવિંદભાઈ કોડીનારના છારા ગામની જે કન્યા શાળામાં ભણાવતા હતા. તે શાળાના આચાર્ય અશ્વિનભાઈ વાજા સાથે ભાસ્કરે વાતચીત કરતાં આચાર્યએ જણાવ્યું કે, બનાવના દિવસે સવારે આઠ વાગ્યે જ્યારે મને અરવિંદભાઈના સમાચાર મળ્યા, ત્યારે મને ખરેખર ખૂબ જ આઘાત લાગ્યો કે એક સમજદાર શિક્ષક આ રીતે પગલું કેવી રીતે ભરી શકે? બાજુની એક શાળાના આચાર્યનો મને ફોન આવતાં હું તાત્કાલિક મારા એક મિત્ર સાથે હું દોડીને હોસ્પિટલ પહોંચ્યો. હાલમાં સમગ્ર રાજ્યમાં શિક્ષકો BLOની કામગીરી કરી રહ્યા છે. અરવિંદભાઈનું પણ 40-50% કામ થઈ ગયું હતું. તમામ મતદારોનું ફોર્મ વિતરણ પણ તેમણે કરી નાખ્યું હતું. તેમનું કામ રાબેતા મુજબ ચાલતું હતું, પરંતુ તંત્રએ ક્યાંક દબાણ કર્યું હશે એટલે કદાચ આ રીતે પગલું ભર્યું હોઈ શકે તેવું અમને લાગે છે. અરવિંદભાઈ ને જે છારા ગામના મતદારોની કામગીરી સોંપવામાં આવી હતી તે ગામમાં મોટાભાગે લોકો શ્રમિક છે અને ઓછું ભણેલા છે, એટલે અરવિંદભાઈ ને થોડી ઘણી તકલીફ પડતી હતી. પરંતુ ગામમાં ઘણા લોકો સાથ સહકાર આપનારા હતા. કોઈપણ વ્યક્તિ ડાયરેક્ટ ના પાડે અને મારે ફોર્મ નથી ભરવું, એવું તો ક્યારેય બન્યું નથી. અરવિંદભાઈ સાથે મારો 20 વર્ષનો પરિચય છે. તે મારા કામમાં પણ તેઓ જુનિયર હતા અને ભણવામાં પણ જુનિયર હતા. છેલ્લા 11 વર્ષથી હું સ્કૂલનો આચાર્ય છું અને તેઓ મારી અંડરમાં કામ કરી રહ્યા હતા. પરંતુ એક સિંગલ ફરિયાદ તેમની મને ક્યારે મળી નથી. કોઈપણ કામ હોય તે કામમાં તેમનો હંમેશા સકારાત્મક ભાવ રહ્યો છે ક્યારે નકારાત્મક વલણ નથી અપનાવ્યું અને કોઈ પણ કામ કરવામાં તેમણે સહાનુભૂતિ દર્શાવી છે. પરંતુ આ એક SIRની પ્રક્રિયામાં એક બોરિંગ જે કામગીરી મળી છે જે સમય માંગી લે તેવી કામગીરી મળી છે. જેના કારણે કદાચ આ પગલું ભર્યું હોઈ શકે તેવું અમને લાગે છે. અમારી શાળામાં અરવિંદભાઈ સિવાય અન્ય બીજા બે ત્રણ શિક્ષકોને પણ આ BLOની કામગીરી મળી હતી. અરવિંદભાઈએ જે દિવસે આ પગલું ભર્યું, તેના એક દિવસ અગાઉ તો અમારા શિક્ષકે તેમની સાથે આખો દિવસ કામ કર્યું છે. હાલમાં આ પ્રકારના બનાવો બન્યા બાદ સરકાર અને ચૂંટણી પંચ હાલમાં થોડું નબળું પડ્યું છે અને શિક્ષકોને BLOને કામગીરીમાં દબાણ ન થાય તે રીતે કામગીરી કરવામાં આવી રહી છે. અરવિંદભાઈ વાઢેર પાંચ જુલાઈ 2010ના રોજ અમારી કન્યાશાળામાં શિક્ષક તરીકે જોડાયા હતા. અરવિંદભાઈ એક એવા શિક્ષક હતા કે તેમના વ્યવહારમાં એક શિક્ષક પણું દેખાતું હતું અને વિદ્યાર્થીઓના એક પ્રિય શિક્ષક હતા. અમારી સ્કૂલની તમામ વિદ્યાર્થિનીઓ અને તમામ વિદ્યાર્થીઓ અરવિંદભાઈના આ સમાચાર સાંભળીને કરી રહ્યા છીએ. તેમના જે જુના વિદ્યાર્થીઓ હતા હાલમાં જે કોલેજમાં અભ્યાસ કરે છે તેઓ પણ માનવા તૈયાર નથી કે હાલમાં અરવિંદભાઈ નથી રહ્યા. વિદ્યાર્થીઓના તે બહુ પ્રિય શિક્ષક હતા. અમારી શાળામાં પણ તમામ બાળકોના વાલીઓ સાથે તેમનો વ્યવહાર ખૂબ જ સારો હતો અને તમામ વાલીઓ સાથે તેમનું ખૂબ જ બનતું હતું. એક શિક્ષક તરીકે તમામ વિદ્યાર્થીઓને સંતોષ આપે તેવું તે શિક્ષણ કાર્ય કરતા હતા. શિક્ષક તરીકેની અત્યાર સુધીની કામગીરીમાં ક્યારેય કોઈને ફરિયાદનો મોકો તેમણે આપ્યો નથી. અરવિંદભાઈ છ થી આઠ ના ધોરણના વિદ્યાર્થીઓને અંગ્રેજી અને સંસ્કૃત વિષય ભણાવતા હતા. અમને કે અમારા સ્ટાફમાં કોઈપણ વ્યક્તિને જો અરવિંદભાઈએ તેમની સમસ્યાની જાણ કરી હોત તો જરૂરથી અમે તેનું નિરાકરણ લાવ્યા હોત. પરંતુ જાણ કર્યા વગર આ રીતના પગલું ભર્યું તે અમારા માટે ખરેખર દુઃખદાયક છે. હાલમાં તેઓ નથી એટલે તેમના વિદ્યાર્થીઓનું ભણતર હવે અમારા માથે છે તેમના વિષયનું ભણતર અમે ભણાવીશું. BLO અરવિંદભાઈના સસરા રણવીરભાઈ ચુડાસમા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે, અમારા જમાઈ દેવળી ગામમાં રહે છે. અમારા ગામની નજીક આવેલા છારા ગામમાં છેલ્લા 1 મહિનાથી તેઓ બુથ લેવલ ઓફિસરની કામગીરી કરતા હતા. આ એક મહિનામાં તેમને કામગીરીનું એટલું દબાણ કરવામાં આવ્યું કે તેમણે આત્મહત્યા કરી લીધી.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'.
ચોરી કરવાનો પ્રયાસ:દાહોદમાં મહિલા ચોર ટોળકીએ ચોરેલા 5 લાખ વેપારીને પરત મળ્યાં
દાહોદ એપીએમસીમાં થોડા દિવસ અગાઉ થયેલી 5 લાખની ચોરીની ઘટના પોલીસની કામગીરીથી ઉકેલાઇ હતી. ભિક્ષુકના વેશમાં આવેલી 7થી 8 મહિલાની ટોળકીએ લોકેશ ખંડેલવાલની દુકાનમાંથી 5 લાખ રોકડ રકમની ચોરી કરી હતી. તેમણે દોલતંદ બજાર અને હનુમાન બજારમાં પણ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને સીસીટીવી ફૂટેજ અને જાગૃત નાગરિકની મદદથી મહિલાઓની ઓળખ મળી અને મહારાષ્ટ્ર પાલઘર ખાતે ગુટખી ગેંગને ઝડપી હતી. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત દાહોદ એસપી જાડેજા અને ડીવાયએસપી ભંડારીની હાજરીમાં પાંચ લાખની રકમ વેપારીને પરત આપી હતી. ઘટના ઉકેલવામાં રીક્ષા ચાલક ભીખુભાઈની મહત્વપૂર્ણ મદદ મળી હતી.
અકસ્માત:નંદાપુરા પાસે મોપેડ વાહન સાથે અથડાતાં ચાલકનું મોત
ગોધરાના નંદાપુરા બ્રિજ પાસે અજાણ્યા વાહનની અડફેટે મોપેડ વાહન અથડાતા મોપેડ ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજતા તાલુકા પોલીસ મથકે અકસ્માતની ફરિયાદ નોંધાઇ હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ઝરીખુર્દ ગામે રહેતા 28 વર્ષીય પ્રવિણસિંહ ફતેસિંહ પરમાર પોતાનું મોપેડ વાહન લઈને દાહોદથી ગોધરા તરફ આવી રહ્યો હતો. ત્યારે ગોધરા તાલુકાના નંદાપુરા ઓવરબ્રિજ નજીક પ્રવિણ પરમારે પોતાનું વાહન પૂરઝડપે હંકારતા કાબુ ગુમાવી બેઠો હતો. જે બાદ મોપેડ આગળ જઈ રહેલા અજાણ્યા વાહન પાછળ ધડાકાભેર અથડાયું હતું. આ અકસ્માતમાં પ્રવીણ પરમારને ગંભીર ઈજાઓ પહોંચતા 108ની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું છે. આ અંગે પોલીસ દ્વારા અકસ્માતની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ફરિયાદ:ગઢ ચુંદડીમાં યુવક યુવતી ભાગી જવા બાબતે મહિલા પર હુમલાની ફરિયાદ
ગોધરા તાલુકાના ગઢ ચુંદડી ગામની ફરીયાદ મુજબ લીલાબેનના નાનાં પુત્ર રાજુભાઈએ છ–એક મહિના પહેલા ડાંગરીયા ગામની ક્રિષ્નાબેન બારીઆ સાથે કોર્ટ મેરેજ કર્યું હતું. લગ્ન બાદ દંપતી ક્યાં રહે છે તે અંગે બંને પરિવારોને માહિતિ નથી. 11 નવેમ્બરે રાત્રે લીલાબેન ઘરે હતી ત્યારે વહુના પિયરના રાજેન્દ્રભાઈ બારીઆ, તેમના પુત્ર નિપુલભાઈ, પત્ની સુશીલાબેન અને ભાભી સપનાબેન આવી ઘર બહાર અપશબ્દો બોલી રાજેન્દ્રભાઈએ ઘરમાં ઘુસીને દિકરા રાજુભાઈ તથા પોતાની દિકરી ક્રિષ્ના ક્યાં છે તેમ પુછયું હતું. લીલાબેન દ્વારા “મને જાણ નથી” કહેતાં જ રાજેન્દ્રભાઈએ તેમને માર મારી વાળ પકડી બહાર ઘસેડી લાવ્યા હતા. જે દરમિયાન નિપુલભાઈ ઘરની છત પર ચઢીને નળીયા નીચે ફેંકવા લાગ્યા હતા, જ્યારે સુશીલા અને સપનાએ ઘરના ડાંગરના પુળા ઘરમાં ફેંકીને “તમારું ઘર સળગાવી દઈશું” એવી ધમકીઓ આપી હતી, હુમલા બાદ લીલાબેનને ઈજાઓ થતાં તેમને સારવાર માટે લઈ ગયા હતા. આરોપીઓ અને ફરીયાદી એક જ સમાજના હોવાથી સમાજ આગેવાનો દ્વારા સમાધાનની કોશિશ કરવા છતાં સમાધાન થયું નહતું. લીલાબેનનો આક્ષેપ છે કે લાંબા સમયથી “તમારો દીકરો હાથમાં મળે તો મારી નાખીશું” કહેતાં ફરીયાદ ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાઇ હતી.
ભાસ્કર એક્સક્લૂસિવ:નિદ્રાધીન પરિવારે બારણું નહીં ખોલતાં રોષિત BLOએ અધિકારીને ફોન કરી હૈયાવરાણ ઠાલવી
મતદાર યાદી સુધારણાની કામગીરીમાં રાત-દિવસ એક કરીને ફરજ બજાવતા બૂથ લેવલ ઓફિસરોની મહેનત હવે તેમના અંગત જીવનમાં કેવી ''કટોકટી'' સર્જી રહી છે તેનો એક રમૂજી કિસ્સો દાહોદ જિલ્લામાં સામે આવ્યો છે. પરિવાર ગાઢ નિદ્રામાં સરી જતાં મોડી રાત સુધી કામ કરીને ઘરે પહોંચેલા એક BLOને ઘરના દરવાજા બહાર જ 15 મિનિટ સુધી અટવાવું પડ્યું હતું અને આ મુશ્કેલીમાં તેમણે સીધા તેમના ઉચ્ચ અધિકારીને ફોન કરી ''19 મિનિટ સુધી વિવિધ પ્રકારની હૈયા વરાળ ઠાલવી હતી. દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતાં અને સવારથી સાંજ સુધી ફોર્મ વિતરણ અને ઉઘરાણીની અથાક કામગીરી પૂર્ણ કરીને એક BLO સાહેબ રાત્રે લગભગ 11.30 વાગ્યે પોતાના ઘરે પહોંચ્યા. થાકેલા પગે તેમણે તરત જ ઘરનું બારણું ખખડાવ્યું. એક વાર... બે વાર... ત્રણ વાર. પણ અંદરથી કોઈ અવાજ આવ્યો નહીં. વધુ પ્રયાસરૂપે તેમણે પત્ની અને પિતાને વારંવાર ફોન કર્યા. પરંતુ દિવસભરની શાંતિ બાદ આરામ ફરમાવી રહેલી પત્ની અને પિતા બંને ઊંડી ઊંઘમાં સરી પડ્યા હતા. એટલે ફોન પર પણ કોઈ પ્રતિસાદ મળ્યો નહીં. આશરે 15 મિનિટ સુધીની ''દરવાજો ખોલાવવાની જહેમત'' બાદ થાક અને ભૂખને કારણે BLO સાહેબનો મિજાજ પારો છટકી ગયો. આખરે નિરાશ થઈને તેમણે પોતાનો ગુસ્સો ઠાલવવા માટે સીધો ઉપરી અધિકારીને ફોન જોડ્યો. અધિકારીએ ફોન ઉપાડતાં જ BLO એ કંટાળા સાથે ફરિયાદ કરી કે સાહેબ, આ તમારી કામગીરી કરવા પાછળ મને લેટ થઈ ગયું અને હવે મારા ઘરવાળા બારણું ખોલતા નથી. 15 મિનિટથી બહાર ઊભો છું, ઊંઘી ગયા લાગે છે. ઉપરી અધિકારીને કદાચ આવી ફરિયાદની કલ્પના પણ નહીં કરી હોય તેમણે તરત જ સત્તાવાર ઢબે ''શાંતિ જાળવવાની'' સલાહ આપી.અધિકારીએ જુઓ, BLO સાહેબ, આટલો ગુસ્સો ન કરો. આપણે નોકરી કરીયે છીયે તો પરિવાર પરિવાર સાથે સંકલન જાળવો. મોડુ થશે તેવી જાણ તેમને પહેલાં કરવી જોઈતી હતી. પણ અકળાયેલા BLO ને આ ''સુફિયાણી વાતો'' સાંભળવામાં કોઈ રસ નહોતો. તેમના અને ઉપરી અધિકારી વચ્ચે આ મુદ્દે ગરમાગરમ 19 મિનિટ સુધી દલીલો ચાલી હતી. જોકે, BLO સાહેબે અધિકારીનો ફોન મુક્યા બાદ હાર માન્યા વિના ફરી એકવાર દરવાજો ખખડાવવાનો અને ફોન કરવાનો પ્રયાસ કર્યો. સદભાગ્યે આ વખતે તેમની પત્નીની ઊંઘ તૂટી અને તેમણે ફોન ઉપાડ્યો. પતિનો થાકેલો અને ગુસ્સાથી ભરેલો અવાજ સાંભળીને પત્નીએ અંતે બારણું ખોલ્યું. 15 મિનિટનો દરવાજા પરનો સંઘર્ષ અને 19 મિનિટ સુધી અધિકારી સાથે કરેલી દલીલનો થાક તથા રોષ BLOએ ઘરમાં પ્રવેશતાની સાથે જ આખાય પરિવાર ઉપર ઠાલવી દીધો હતો. અને ત્યારે જ આખા દિવસની ''કામગીરી''નો અંત આવ્યો અને તેઓ ઠરીઠામ થયા હતાં.
અકસ્માત:લીમડી મેંદરી ગામમાં બાઇક સ્લિપ થતાં પાછળ બેઠેલ 1નું મોત, 1 ઇજા
ધાનપુર તાલુકાના લખણા ગોજીયા ગામનો હિતેશભાઇ આભેસિંગભાઇ નાયક, ટોકરવા ગામનો સંજયભાઇ જશુભા બારીયા અને ભીંડોળ ગામનો વિજયભાઇ દિલવરભાઇ ડામોર એમ ત્રણે જણા તા.15 નવેમ્બરે જીજે-20-બીસી-6247 નંબરની બાઇક ઉપર કંજેટા રેંજથી ટોકરવા ફોરેસ્ટ ઓફીસ બાજુ જતાં હતા. તે દરમિયાન લીંમડી મેંદરી ગામે રોડ ઉપર આવતાં બાઇક ચાલક વિજયભાઇએ પુરઝડપે હંકારી જતાં સ્લીપ ખાઇ ગઇ હતી. જેમાં બાઇક પાછળ બેઠેલ હિતેશભાઇ તથા સંજયભાઇ ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્ત બન્નેને સારવાર માટે દેવગઢ બારિયા ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. હિતેશને ગંભીર ઇજા થઇ હોવાથી વધુ સારવાર માટે રિફરત કરતાં વડોદરા એસએસજી આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તા.21મીના રોજ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જાતા બાઇક ચાલક વિજયે દવા સારવારનો ખર્ચ આપવાનું જણાવ્યું હતું. જેથી અકસ્માત સમયે પોલીસ ફરિયાદ આપી ન હતી. પરંતુ હિતેશનુ સારવાદ દરમિયાન મોત થતાં હિતેશના પિતા આભેસિંગભાઇ નવલસિંગભાઇ નાયકે બાઇક ચાલક વિજય દિલવરભાઇ ડામોર સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ફેટલનો ગુનો નોંધી કાયદેસરન કાર્યવાહી હાથ ધરી હતી.
દાહોદ જિલ્લાના સુખસર પોલીસ મથક વિસ્તારમાં હની ટ્રેપ દ્વારા લૂંટનો સનસનાટીભર્યો ગુનો નોંધાયો છે. ફતેપુરા તાલુકાના પીપલારા ગામના ઘનશ્યામભાઈ ગરાસીયાને ગત 12 નવેમ્બરના રોજ એક અજાણ્યા નંબર પરથી સતત ફોન આવતા હતા. ફોન કરનારે સંભવતઃ વોઇસ ચેન્જર એપ્લિકેશનનો ઉપયોગ કરીને યુવતીના અવાજમાં વાતચીત કરીને ઘનશ્યામભાઈને પ્રેમભરી મીઠી વાતોમાં ફસાવ્યા હતા. આ ષડયંત્રના ભાગરૂપે, યુવતીએ ઘનશ્યામભાઈને સાંજે આશરે આઠ વાગ્યે વાંસયાકુઈ ગામ પાસે વેળા નજીક એક નિર્જન કાચા રસ્તે મળવા માટે બોલાવ્યા હતા. ઘનશ્યામભાઈ પોતાના પડોશી મિત્રો ડેવિલકુમાર પારગી અને સતીષભાઈ પારગી સાથે મોટરસાઇકલ લઈને ત્યાં પહોંચ્યા હતા. જ્યારે ત્રણેય મિત્રોએ બાઈક ઊભું રાખ્યું તે જ ક્ષણે ઝાડીઓમાંથી ચાર અજાણ્યા શખ્સો અચાનક બહાર આવ્યા હતા. એક શખ્સે તરત જ બાઈકની ચાવી ખેંચી લીધી અને બીજાઓએ ત્રણેય મિત્રોને પકડી લીધા હતા. લૂંટારૂઓએ બુમો પાડશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી, ચપ્પુ બતાવી અને કમરના પટ્ટાથી માર માર્યો હતો. લૂંટારૂઓએ ઘનશ્યામભાઈ પાસેથી રૂા.50,000ના બે ભોરિયા, પર્સ અને રૂા.20,000નો મોબાઇલ ફોન ઝૂંટવી લીધો. આ ઉપરાંત, ડેવિલભાઈ અને સતીષભાઈના રૂા.10,000 અને રૂા.20,000ની કિંમતના મોબાઇલ પણ પડાવી લીધા. આમ, કુલ રૂા.1,00,300ની કિંમતનો મુદ્દામાલ લૂંટીને લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા. લૂંટારૂઓ ફરી મારવા આવતા ત્રણેય યુવકો ડરીને સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. ઘનશ્યામભાઈ ગરાસીયાએ આ ઘટના અંગે સુખસર પોલીસ મથકમાં અજાણ્યા ચાર શખ્સો અને બોલાવનાર યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 8 મહિના અગાઉ પણ આ સ્થળે સંતરામપુરના યુવક સાથે ઘટના બની હતીઆઠેક માસ પહેલા સંતરામપુર બટકાવડા બાજુના પારસીંગભાઇ કટારાની સાથે પણ વાસીયાકુઇ વેળા ઉપર આવો જ બનાવ બન્યો હતો. આ અજાણ્યા લોકો બીજા અન્ય માણસોને પણ આવી રીતે ફસાવીને બળજબરીથી પૈસા મોબાઇલ રોકડ રૂપિયા કઢાવી લીધા હતાં.
મંડે પોઝિટીવ:દાહોદને હરિયાળું બનાવવા ધર્મગુરુઓનો સહયોગ
દાહોદ શહેરને પર્યાવરણની દ્રષ્ટિએ પણ ‘‘સ્માર્ટ'' બનાવવાની તાતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, પ્રકૃતિ મિત્ર મંડળ, દાહોદ દ્વારા આગામી તારીખ 25 નવેમ્બરે ધર્મગુરુઓ સાથે એક મહત્ત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલનો મુખ્ય હેતુ પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધનમાં ધર્મગુરુઓનું અમૂલ્ય યોગદાન મેળવવાનો છે. દાહોદ શહેરમાં પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા તમામ ધર્મના ધર્મગુરુઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમની ઉમદા જ્ઞાન અને ધાર્મિક રીતે ઉચ્ચ વિચારસરણી હેઠળ તેઓ સમાજના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ રહે છે. સંસ્થાની અપેક્ષા છે કે ધર્મગુરુઓની આ જ ભાવનાને પર્યાવરણ સાથે સાંકળીને દાહોદને હરિયાળું તથા નવપલ્લવિત કેવી રીતે બનાવી શકાય તે અંગે તેમના અમૂલ્ય સૂચનો તથા માર્ગદર્શન મળી શકે. પ્રકૃતિ મિત્ર મંડળના પ્રમુખ ધર્મેન્દ્ર ખત્રી છે. તેમની સંસ્થા 1984થી સતત પર્યાવરણના વિવિધ શાખાઓમાં કાર્ય કરી રહી છે. જેમાં વૃક્ષોનો ઉછેર, રોપા વિતરણ, જંગલોનો બચાવ, સર્પ સૃષ્ટિ અને પક્ષી સૃષ્ટિની દેખરેખ, ઉપરાંત બાળકોને પર્યાવરણનું શિક્ષણ તથા સ્ત્રીઓ અને સિનિયર વ્યક્તિઓમાં જાગૃતિ ફેલાવવાના પ્રયાસોનો સમાવેશ થાય છે. પર્યાવરણ અંગેના આ વિચાર વિમર્શ માટેની મીટીંગ આગામી તા.25 નવેમ્બરે સાંજે 4થી 5.30 વાગ્યા દરમિયાન શ્રી અજય દેસાઈ પ્રકૃતિ ભવન ખાતે યોજાશે. તેઓ આ બેઠકમાં તેમનો અમૂલ્ય સમય ફાળવી અચૂક હાજર રહી માર્ગદર્શિત કરે પ્રકૃતિ મિત્ર મંડળ દાહોદ દ્વારા ધર્મગુરુઓને આશા સહ વિનંતી કરવામાં આવી છે.
ભાસ્કર ઈનસાઈડ:દાહોદ જિ.ની 10 સરકારી મા. શાળાઓને જમીન ફાળવાઇ
દાહોદ જિલ્લા પ્રશાસન દ્વારા જિલ્લામાં કાર્યરત સરકારી માધ્ય. શાળાઓના માળખાકીય વિકાસ તરફ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. શિક્ષણ સુવિધાઓને વધુ મજબૂત બનાવવા અને વિદ્યાર્થીઓને યોગ્ય શૈક્ષણીક પર્યાવરણ મળી રહે તે માટે કુલ 7 સરકારી માધ્યમિક શાળાઓને કલેક્ટર દ્વારા સત્તાવાર રીતે જમીન ફાળવવામાં આવી છે. ફાળવેલી શાળાઓમાં મુવાલીયા, ખેંગ, ખંગેલા, બોરવાણી, પતંગડી અને ચીખલીનો સમાવેશ થાય છે. આ શાળાઓને જિલ્લા પ્રશાસનના સહયોગથી યોગ્ય સ્થળે જમીન ઉપલબ્ધ થતા હવે તેમના નવા શાળા મકાનના બાંધકામનો માર્ગ સુગમ બન્યો છે. તે ઉપરાંત, દાહોદ જિલ્લા વનવિભાગ દ્વારા સરકારી માધ્યમિક શાળા ઇટાવાને પણ જમીન ફાળવણી કરી છે. જેથી આ શાળા માટે પણ નવા નિર્માણની પ્રક્રિયા શરુ થઈ શકે. બીજી તરફ જિલ્લાની 3 અન્ય સરકારી માધ્યમિક શાળાઓ માટે પ્રાથમિક શાળાના કેમ્પસમાં પૂરતી જગ્યા ઉપલબ્ધ હોવાથી ત્યાં જ નવા મકાનનું બાંધકામ કરવાની યોજના નક્કી કરી છે. આ તમામને ધ્યાનમાં લેતા કુલ 10 સરકારી માધ્યમિક શાળાઓના મકાન બાંધકામ માટે આગામી બે વર્ષ દરમિયાન સર્વ શિક્ષા અભિયાન દ્વારા પ્રત્યક્ષ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નવા મકાનોના નિર્માણ માટે બે વર્ષમાં એસએસએ કાર્યરત થશે શિક્ષણ માળખાને મજબૂત બનાવવા માટે સર્વ શિક્ષા અભિયાન (SSA) દ્વારા આગામી બે વર્ષમાં દાહોદ જિલ્લાની 10 સરકારી માધ્યમિક શાળાઓના નવા મકાનોનું નિર્માણ કરવામાં આવશે. આ યોજનાનો મુખ્ય હેતુ શાળાના શિક્ષણ માળખાને આધુનિક અને સુરક્ષિત બનાવવાનો છે.આ કામગીરી પ્રત્યક્ષ પ્રોજેક્ટ મેનેજમેન્ટ હેઠળ હાથ ધરવામાં આવશે અને સમયબદ્ધ રીતે પૂર્ણ કરવાની યોજના છે. નવા મકાનોમાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓ માટે સુવિધાઓની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવશે. SSA દ્વારા શિક્ષણ ક્ષેત્રે આવનારા વર્ષોમાં સુધારા માટે નિયમિત રીતે નિરીક્ષણ પણ કરવામાં આવશે.
મંડે પોઝીટીવ:નાશિક કુંભમેળા માટે ITI દ્વારા વેદિક સંસ્કાર જુનિયર આસિસ્ટંટ અભ્યાસક્રમ
કૌશલ્ય, રોજગાર, ઉદ્યોજકતા અને નાવિન્યતા વિભાગ તરફથી યુવકોને ઉદ્યોગ સુસંગત અને રોજગારલક્ષી પ્રશિક્ષણ પ્રદાન કરવાના ઉદ્દેશથી અલ્પ મુદતના રોજગાર અભ્યાસક્રમ નામથી અભિનવ ઉપક્રમ અમલમાં મૂકાશે. આગામી વર્ષે નાશિકમાં થનારા કુંભમેળામાં વેદિક વિધિ કરતા વ્યક્તિઓની ઓછપ વર્તાય છે. તેથી અલ્પ મુદતના રોજગારલક્ષી અભ્યાસક્રમ કાર્યક્રમ અંતર્ગત નાશિકની આઈટીઆઈ તરફથી ત્રણથી છ મહિનાનો વેદિક સંસ્કાર જુનિયર આસિસ્ટંટ અભ્યાસક્રમ ભણાવવામાં આવશે. એના લીધે વેદિક સંસ્કાર કરતી વ્યક્તિ નાગરિકોને સહેલાઈથી ઉપલબ્ધ થશે. નાશિકમાં દર 12 વર્ષે ભરાતા કુંભમેળાના સમયે વેદિક સંસ્કાર કરતી વ્યક્તિઓ મળતી નથી. નાશિકમાં 2026માં શરૂ થનારા કુંભમેળામાં નાગરિકોને વેદિક સંસ્કાર કરતા મુશ્કેલી ન થાય એ માટે રામટેક સંસ્કૃત યુનિવર્સિટીના સહકાર્યથી નાશિક જિલ્લાની વિવિધ આઈટીઆઈમાં ત્રણથી છ મહિનાનો વેદિક સંસ્કાર જુનિયર આસિસ્ટંટ અભ્યાસક્રમ ભણાવવામાં આવશે. આ અભ્યાસક્રમ માટે 30 વિદ્યાર્થીઓનો એક બેચ હશે. જો કે વધુમાં વધુ યુવક-યુવતીઓ રસ દેખાડશે તો ક્લાસની સંખ્યા વધારવામાં આવશે એવી માહિતી કૌશલ્ય, રોજગાર, ઉદ્યોજકતા અને નાવિન્યતા મંત્રી મંગલપ્રભાત લોઢાએ આપી હતી. ગ્રામીણ ભાગના યુવક તેમ જ મહિલા ઉમેદવારોને સ્થાનિક સ્તરે પ્રશિક્ષણના માધ્યમથી સ્વયંરોજગારની તક ઉપલબ્ધ થાય એ માટે મહિલાઓ માટે 364 વિશેષ ક્લાસ, તેમ જ ઉદયોન્મુખ ક્ષેત્ર માટે 408 વિશેષ ક્લાસ શરૂ કરવામાં આવશે. એમાં એડિટિવ મેન્યુફેકચરિંગ, ડ્રોન ટેકનોલોજી, ઈલેકટ્રીક વાહન, સોલાર ઉર્જા, સાઈબર સુરક્ષા, ઈંટરનેટ ઓફ થિન્ગ્ઝ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ગ્રીન હાઈડ્રોજન, મોબાઈલ રિપેરીંગ ટેકનોલોજી, સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર વગેરે વિષયોનો સમાવેશ છે. એ જ પ્રમાણ ગડચિરોલી, લાતુર, નાગપુર અને અમરાવતી ખાતે સ્થાનિક ઉદ્યોગોની જરૂરિયાત અનુસાર શરૂ કરવામાં આવનારા વિશેષ પ્રશિક્ષણ કેન્દ્રમાં કેન્ડી મેકિંગ, ફૂડ પ્રોસેસિંગ અને બાંબુ ટોય મેકિંગ અભ્યાસક્રમને અગ્રતા આપવામાં આવશે એમ લોઢાએ જણાવ્યું હતું. આઈટીઆઈમાં 2506 બેચ : રાજ્યની 419 સરકારી ઔદ્યોગિક પ્રશિક્ષણ સંસ્થા અને 141 સરકારી ટેકનિકલ સ્કૂલમાં કુલ 2 હજાર 506 બેચ શરૂ કરવામાં આવશે. આ માધ્યમથી ચાલુ વર્ષમાં 75 હજાર પ્રશિક્ષણાર્થીઓને રોજગારલક્ષી કૌશલ્ય પ્રશિક્ષણ આપવામાં આવશે. આગામી વર્ષે 1 લાખ પ્રશિક્ષણાર્થીઓને પ્રશિક્ષણ આપવાનું લક્ષ્ય છે.
કાર્યવાહી:એરપોર્ટ પરથી 8.89 કરોડના ડ્રગ્સ સાથે તસ્કરની ધરપકડ
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સના એર ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા રૂ. 8.89 કરોડના ડ્રગ્સ સાથે એક પ્રવાસીની ધરપકડ કરી હતી. આરોપી રમીઝ અહમદ ખાન ચેન્નાઈનો રહેવાસી છે. શનિવારે આ તસ્કર થાઈ વિયેતજેટ એર ફ્લાઈટ નં. વીઝેડ-760માં મુંબઈ એરપોર્ટ પર ઊતર્યો. તે ટી2 ખાતે અરાઈવલ હોલમાં આવતાં તેને આંતરવામાં આવ્યો હતો. આ પછી તલાશી માટે એઆઈયુ સીસીટીવી રૂમમાં લઈ જવાયો હતો. તેની શારીરિક તલાશી લેતાં કશું જ મળ્યું નહોતું. આ પછી ચેક-ઈન બેગની તલાશી લેવાઈ હતી. આ બેગમાં કપડાં, ચોકલેટ્સ અને ફૂડ પેકેટ્સ હતાં. કપડાંમાંથી એરટાઈટ ફૂડ પેકેટ્સ મળી આવ્યાં હતાં, જેમાંથી 8 એરટાઈલ પ્લાસ્ટિક પેકેટ્સ મળી આવ્યાં હતાં.આ પછી ટ્રોલી બેગ ખાલી કરાઈ હતી. આમ છતાં તેનું વજન ભારે હોવાનું જણાતાં તોડવામાં આવી હતી, જેમાંથી વધુ 4 એરટાઈટ પ્લાસ્ટિક પેકેટ્સ મળી આવ્યાં હતાં. કુલ 12 એરટાઈટ પ્લાસ્ટિક પેકેટ્સ મળી આવ્યાં હતાં, જેમાંથી એકંદરે 8889.00 ગ્રામ હાઈડ્રોપોનિક વીડ નામે ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ. 8.89 કરોડ કિંમત થાય છે. આથી આરોપીની ધરપકડ કરાઈ હતી. આરોપીને આ ડ્રગ્સ કોણે આપ્યું અને તે અહીં ભારતમાં લાવીને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ તાલી રહી છે, એમ કસ્ટમ્સના અધિકારીએ જણાવ્યું હતું.
છેતરપિંડી:છેતરામણી યોજનામાં પોલીસ, ડોક્ટર સાથે 1.44 કરોડની ઠગાઈ
છેતરામણી રોકાણ યોજનામાં ઉચ્ચ વળતરોની લાલચ આપીને રૂ. 1.44 કરોડની ઠગાઈ થાણેના નિવૃત્ત પોલીસ અધિકારી અને તેના ડોક્ટર મિત્ર સાથે કરવામાં આવી છે. બે વર્ષમાં થયેલી આ છેતરપિંડી પ્રકરણે મહારાષ્ટ્રના પુણે અને ગોવાના બે જણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આરોપીએ થાણે જિલ્લાના કલ્યાણના રહેવાસી 67 વર્ષીય નિવૃત્ત પોલીસ અધિકારી અને તેના ડોક્ટર મિત્રને શેર ટ્રેડિંગમાં સંકળાયેલી કંપનીઓમાં મોટી રકમનાં રોકાણ સામે અસાધારણ ઉચ્ચ વળતરો મળશે એવનું વચન આપ્યું હતું.આરોપીએ આરંભમાં પીડિતોનો વિશ્વાસ જીતવા રોકાણ સામે નાની રકમનાં વળતરો આપવાનું શરૂ કર્યું હતું, પરંતુ ધીમે ધીમે ચુકવણી સાવ બંધ કરી દીધી હતી. પીડિતોએ તેમની મૂળ રકમ પાછી માગી ત્યારે આરોપીએ ટાળમટોળ કરવાનું શરૂ કર્યું અને આખરે કોલ લેવાનું બંધ કરી દીધું, એમ ખડકપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ રવિવારે જણાવ્યું હતું.આ પછી પીડિતોએ પોલીસમાં જાણ કરી હતી. તેમની ફરિયાદને આધારે પોલીસે 21 નવેમ્બરથી ઊંડાણથી તપાસ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી. પોલીસ નાણાંનું પગેરું મેળવવા માટે આરોપીઓના બેન્ક વ્યવહારો, રોકાણના દસ્તાવેજો અને સંદેશવ્યવહારની નોંધની તપાસ કરી રહી છે અને આ જ મોડસ ઓપરેન્ડીથી વધુ લોકોને ફસાવવામાં આવ્યા છે કે કેમ તેની પણ તપાસ કરી રહી છે.પોલીસે બે આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 420 (છેતરપિંડી) અને 34 (સમાન હેતુ) હઅને મહારાષ્ટ્ર પ્રોટેકશન ઓફ ઈન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ (એમપીઆઈડી) ધારાની જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
આયોજન:ઈન્ડિયન નેવી હાફ મેરેથોન 2025માં 23,000થી વધુ રનર્સ દોડ્યા હતા
વેસ્ટર્ન નેવલ કમાન્ડ નેવી હાફ મેરેથોન 2025ની રવિવારે યોજાયેલી આઠમી આવૃત્તિમાં ભારતના 20,000 રનર્સ અને 19 દેશના 71 આંતરરાષ્ટ્રીય રનર્સ દોડ્યા હતા. આ મેરેથોનની વિશેષતા એ છે કે ફિટનેસ અને દેશભક્તિ પ્રત્યે કટિબદ્ધતાનું આદાનપ્રદાન કરવા માટે સિવિલિયનો અને ભારતીય નેવી એકત્ર આવીને દોડે છે.એરક્રાફ્ટ કેરિયર રન (21.1 કિમી), ડિસ્ટ્રોયર રન (10 કિમી) અને ફ્રિગેટ રન (5 કિમી) એમ ત્રણ શ્રેણીમાં આ મેરેથોન યોજાય છે. તેને ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ એઢમિરલ દિનેશ કે ત્રિપાઠી, વાઈસ એડમિરલ કૃષ્ણા સ્વામિનાથને લીલી ઝંડી બતાવી હતી. આ સમયે ભારતીય આર્મી, નેવી, એરફોર્સના વરિષ્ઠ અધિકારી, પ્રાયોજકો ઈન્ડિયન ઓઈલ અને યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી.આ સમયે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહલ નાર્વેકરે 10 કિમી રેસને લીલી ઝંડી બતાવી હતી. આ સમયે અભિનેતા સુનિલ શેટ્ટી, આહાન શેટ્ટી, રિતેશ દેશમુખ પણ હાજર હતા. ભારતીય નેવી, ઈન્ડિયા ઓઈલ સાથે મહાપાલિકા, મુંબઈ પોલીસ, બેસ્ટ અને રેલવે દ્વારા પણ સહયોગ અપાયો હતો. 10 કિમી અને 5 કિમી રનમાં પુરુષોમાં અનુક્રમે કાર્તિક કરકેરા, સુર્યજિત કેયુ અને આકાશ ચૌહાણ પ્રથમ આવ્યા હતા, જ્યારે મહિલામાં અનુક્રમે પૂજા, સોમ્યા અને ગાયત્રી શિંદે પ્રથમ આવી હતી. ભારતીય નેવીના તિથિમાં આ વાર્ષિક ઈવેન્ટ છે અને હવે નવમી આવૃત્તિ નવેમ્બર 2026માં ત્રીજા રવિવારે નિર્ધારિત છે.
સિટી એન્કર:વીસ વર્ષથી વધુ સમય એકત્ર રહેતાં સાસુ-વહુઓના સન્માનનો કાર્યક્રમ
સાસુ-વહુના સંબંધને ગૌરવ અપાવતા એક કાર્યક્રમનું આયોજન અંધેરી કચ્છી વિસા ઓશવાળ મહિલા પાંખ દ્વારા તા. ૨૩-૧૧-૨૫ ને રવિવારના કરવામાં આવ્યું હતું. અંધેરીમાં રહેતી કવિઓ સમાજની 20 વર્ષ કે તેથી વધુ સમયથી સાથે રહેતી એવી સાસુ વહુની 60 જોડીઓનો સન્માન કરવામાં આવ્યું હતું. દરેક સાસુ- વહુને મોમેન્ટો તેમ જ દુપટ્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. સાસુ- વહુ તેમ જ સમાજના ભાઈ- બહેનો રમી શકે એવી રૂપાગડા દ્વારા મ્યુઝિકલ હાઉઝી રમાડવામાં આવી હતી. આ કાર્યક્રમની પરિકલ્પના ધરાવનાર સમાજની મહિલા પાંખના ભૂતપૂર્વ પ્રમુખ અલકા ગાલાએ કચ્છમાં આવો અનોખો કાર્યક્રમ જોયો ત્યારે મુંબઈમાં સમાજ માટે આવો કાર્યક્રમ રાખવાનો વિચાર મહિલા પાંખના અરુણા છેડા, હર્ષા ગોગરી, કલ્પના સાવલા, આરતી છેડા તેમ જ અન્ય કમિટી મેમ્બરોને જણાવ્યું, જે પછી આવો કાર્યક્રમ રાખવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું. આ પ્રકારના કાર્યક્રમથી લોકોમાં જાગૃતિ આવે અને જોઈન્ટ ફેમિલીના ફાયદા વિશે સારો સંદેશ ફેલાય એ હેતુ હતો. આ કાર્યક્રમમાં ભાગ લેનાર સાસુ પ્રભાબેન ગોગરી સાથે 32 વર્ષથી રહેતા હર્ષા ગોગરીએ જણાવ્યું કે લગ્ન વખતે માતાજીએ શિખામણ આપી હતી કે હવે પછી તારાં સાસુને જ ‘મા ગણજે અને મેં પણ મારી દીકરી કિંજલને એ શિખામણ આપી છે. કાર્યકત્રમ લોકોને સારો મેસેજ પહોંચાડે છે23 વર્ષથી સાસુ પ્રફુલાબેન ગાલા સાથે વહુ ચૈતાલી ગાલા રહે છે. તે જણાવે છે કે આ પ્રકારના કાર્યક્રમ લોકોને સારો મેસેજ પહોંચાડે છે, સાસુ- વહુ એકબીજાને સમજીને ચાલે તો તેના ઘણા ફાયદા છે. સાસુ- વહુનો સંબંધ એ કુટુંબ માટે કરોડરજ્જુ સમાન છે. કાર્યક્રમમાં પધારેલા આમંત્રિતો, સાસુ- વહુની જોડીઓ તેમ જ અંધેરીવાસીઓને, આરતી છેડાએ અલગ શૈલીમાં આવકાર આપ્યો હતો. કાર્યક્રમમાં સુંદર સંચાલન અરુણા છેડાએ કર્યું હતું. આભારની લાગણી હર્ષા ગોગરીએ માની હતી. આ કાર્યક્રમને સુંદર અને સુશોભિત કરવા ભાવના ખુથીયા, કલકી ગાલા, અરુણા છેડા, આરતી છેડા, કલ્પના સાવલા, હર્ષા ગોગરી, સંગીતા શાહ, દીપા નંદુ, વૈશાલી મારૂ, કિંજલ ગલીયાએ જહેમત ઉઠાવી હતી, એમ મહિલા પાંખનાં ભૂતપૂર્વ પ્રમુખ અલકા ગાલાએ જણાવ્યું હતું.
આંચકાજનક!:મુંબઈમાં મતદાર યાદીમાં 11 લાખ ડુપ્લિકેટ મતદાર
ડુપ્લિકેટ મતદારો પરથી રાજકીય વાતાવરણ ગરમાયું છે ત્યારે મુંબઈમાં 11 લાખથી વધુ આવા મતદારો હોવાનું મુંબઈ મહાપાલિકા દ્વારા જાહેર કરાયેલી મતદાર યાદીમાં બહાર આવ્યું છે. તેમાં સૌથી વધુ ડુપ્લિકેટ મતદારો પશ્ચિમ ઉપનગરમાં હોઈ મુંબઈ મહાપાલિકાની ચૂંટણીમાં આ પ્રશ્ન ઉકેલવાનું ચૂંટણી યંત્રણા માટે પડકારજનક છે. મુંબઈમાં 11 લાખ એક હજાર 505 ડુપ્લિકેટ મતદારો હોવાનું નિષ્ફળ થયું છે. ખાસ કરીને તેમાંથી એક લાખ મતદારોનાં નામ ત્રણથી ચાર ઠેકાણે હોવાનું જણાયું છે. પશ્ચિમ ઉપનગરમાં ચાર લાખ 98 હજાર 597 ડુપ્લિકેટ મતદારો છે. પૂર્વ ઉપનગરમાં ત્રણ લાખ 29 હજાર 216 અને શહેરમાં બે લાખ 73 હજાર 692 ડુપ્લિકેટ મતદારો છે.મતદાર યાદી પર વાંધા અને સૂચનો નોંધાવવા માટે 27 નવેમ્બર અંતિમ મુદત છે. તે પૂર્વે જ 20 નવેમ્બરે નમૂનારૂપી મતદાર યાદી મહાપાલિકાની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરાઈ છે. તે અનુસાર ડુપ્લિકેટ મતદારોની સંખ્યા બહાર આવી છે. મુંબઈમાં એક કરોડ ત્રણ લાખ 44 હજાર 315 મતદારો છે. તેમાંથી 55 લાખ 16 હજાર 707 પુરુષ અને 48 લાખ 26 હજાર 509 મહિલા મતદાર છે. કુલ મતદારમાંથી 11 લાખથી વધુ ડુપ્લિકેટ મતદારો હોવાથી તેમને રોકવાનો પડકાર રાજ્ય ચૂંટણી પંચ અને મહાપાલિકા સામે છે. ડુપ્લિકેટ મતદારોને રોકવા ચૂંટણી પંચ નિષ્ફળ ગયું છે અને મતદારો મતદાન માટે આવે તો તેમની ધુલાઈ કરો એવો અનુરોધ મનસે અધ્યક્ષ રાજ ઠાકરેએ થોડા દિવસ પૂર્વે કાર્યકરોને કર્યો. હવે ડુપ્લિકેટ મતદારોની સંખ્યા બહાર આવતાં નવો વિવાદ જાગે એવી શક્યતા છે. મુંબઈમાં કુલ મતદારોમાં 60 હજાર અને તેના કરતાં વધુ મતદાર ત્રણ વોર્ડના ત્રણ પ્રભાગમાં છે. આર સેન્ટ્રલ વોર્ડમાં (બોરીવલી) વોર્ડ નં. 15માં 61 હજાર 361 મતદારો, કે વેસ્ટમાં (અંધેરી પશ્ચિમ, જોગેશ્વરી પશ્ચિમ અને પાર્લા પશ્ચિમ) વોર્ડ નં. 66માં 61 હજાર 518 મતદારો અને એન વોર્ડમાં (ઘાટકોપર) વોર્ડ 131માં 62 હજાર 14 મતદાર, એલ વોર્ડમાં વોર્ડ 164માં 60 હજાર 94 મતદાર છે. ડુપ્લિકેટ મતદારોને તક મળશેદરમિયાન ડુપ્લિકેટ મતદારોને તેમનું નામ કઢાવવા માટે એક તક મળશે. મહાપાલિકા તે પછી 5 ડિસેમ્બરે અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરશે. નમૂનારૂપી મતદાર યાદીમાં ડુપ્લિકેટ મતદારો ચિન્હાંકિત છે. મતદાન સમયે ડુપ્લિકેટ મતદારો આવતાં બીજા ઠેકાણે મતદાન નહીં કરવાનું સોગંદનામું લખાવી લેવાશે.
ધરપકડ:કોલ્હાપુરમાં શિક્ષક પ્રવેશ પરીક્ષાના પેપર ફોડવાના કૌભાંડનો પર્દાફાશ
રાજ્યમાં શિક્ષક પ્રવેશ પરીક્ષા (ટીઈટી)ની પરીક્ષા ચાલી રહી છે ત્યારે કોલ્હાપુર જિલ્લામાં એક મોટી ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. મુરગુડ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે પેપર ફોડવાનું મોટા કાવતરાનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં નવ જણની ધરપકડ કરાઈ છે. રાજ્યભરમાં લાખો વિદ્યાર્થીઓ TET પરીક્ષા આપી રહ્યા છે ત્યારે કોલ્હાપુરમાં પેપર ફોડવાના પ્રયાસનો ખુલાસો થતાં શિક્ષણ વિભાગ પણ ચોંકી ગયો છે. રસપ્રદ વાત એ છે કે તપાસમાં બહાર આવ્યું છે કે કેટલાક ઉમેદવારો પણ આ કાવતરામાં સામેલ છે.આરોપીઓ કાગલ તાલુકાના સોંગે વિસ્તારમાંથી પકડાયા હતા. તેમાં કાગલ અને રાધાનગરી તાલુકાના યુવાનોનો સમાવેશ થાય છે અને તેમની વચ્ચે વ્યાપક નેટવર્ક હોવાની શંકા છે. પોલીસ શનિવાર રાતથી આ કેસની સતત તપાસ કરી રહી છે અને શકમંદોની સંખ્યા વધવાની શક્યતા નકારી શકાતી નથી. આથી રવિવારે યોજાનારી TET પરીક્ષા સુરક્ષાની દ્રષ્ટિએ વધુ મહત્ત્વપૂર્ણ બની ગઈ હતી. હાલમાં, તપાસ ટીમ આરોપીઓના મોબાઇલ ફોન, ચેટ, સંપર્કો અને નાણાકીય વ્યવહારોની તપાસ કરી રહી છે અને શું આ રેકેટ રાજ્યભરમાં ફેલાયું છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે?દરમિયાન, TET પરીક્ષા માટે આ વર્ષે મરાઠી માધ્યમમાં ઉમેદવારોની સંખ્યા સૌથી વધુ છે. મરાઠી માધ્યમમાં ત્રણ લાખ ૨૭ હજાર ૧૩૫ ઉમેદવારોએ પરીક્ષા આપી છે. અંગ્રેજી માધ્યમમાં ૨૮ હજાર ૪૩૭ ઉમેદવારો, ઉર્દૂ માધ્યમમાં ૨૫ હજાર ૯૩૫ અને હિન્દી માધ્યમમાં ૯૨ હજાર ૪૨૦ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. બંગાળી, કન્નડ, તેલુગુ, ગુજરાતી અને સિંધી માધ્યમમાં પણ કેટલાક નોંધણી કરવામાં આવી છે.
રાજકારણ:આઘાડીમાં મનસેને લેવા અંગે પેદા થયેલું કોકડું ઉકેલવા પવાર રાહુલ ગાંધીને મળશે
મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપને સત્તાથી દૂર રાખવા માટે મહાવિકાસ આઘાડીમાં મનસેને સામેલ કરવા માટે ઠાકરેની શિવસેના અને શરદ પવારની રાષ્ટ્રવાદી અને પ્રદેશ કોંગ્રેસ પણ આગ્રહી છે, પરંતુ મુંબઈ કોંગ્રેસે સખત વિરોધ કર્યો છે, જેને કારણે કોકડું ગૂંચવાયું છે. હવે આ કોકડું ઉકેલવા માટે મુંબઈ કોંગ્રેસની ફરિયાદ લઈને ખુદ શરદ પવાર રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના પક્ષ શ્રેષ્ઠીઓને મળવા માટે નવી દિલ્હી જશે. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ આગામી ચૂંટણીમાં એકત્ર આવવાની ઘોષણા કરી દીધી છે, જેથી મુંબઈ કોંગ્રેસે મનસે આઘાડીમાં સામેલ થશે તો સ્વબળે ચૂંટણી લડવાની ઘોષણા કરી છે. પ્રદેશ કોંગ્રેસ ભાજપને સત્તાથી દૂર રાખવા માટે મનસેને આઘાડીમાં સામેલ કરવાની બાંધછોડ માટે તૈયાર છે. જોકે પરપ્રાંતિયો વિરુદ્ધ ભૂમિકા લેનારા મનસેને સામેલ કરવા મુંબઈ કોંગ્રેસ બિલકુલ તૈયાર નથી.શનિવારે કાર્યકરો સાથે ચૂંટણી બાબતની બેઠકમાં પવારે જણાવ્યું કે આગામી ચૂંટણી માટે આઘાડીમાં મનસેને સામેલ કરવાથી ફાયદો થશે. લોકસભા અને વિધાનસભા મહાવિકાસ આઘાડીએ એકત્ર લડી. લોકસભામાં જ્વલંત સફળતા મળી, પરંતુ વિધાનસભામાં તે દોહરાવી શકી નહીં. આ અનુભવને ધ્યાનમાં લેતાં મહાપાલિકા હાથમાંથી છટકી જશે એવો ભય હોવાથી ઉદ્ધવ ઠાકરેએ રાજ ઠાકરેને નજીક કર્યા છે.મુંબઈમાં મનસેને સાથે લઈને જ ચૂંટણી લડવી જોઈએ. આવું કરતાં મહાવિકાસ આઘાડી મજબૂત બનશે એવો આગ્રહપૂર્વકનો અભિપ્રાય પવારે રજૂ કર્યો હતો. મનસે પણ આ વાતે સંમત હોઈ મરાઠી મતોની ફાટફૂટ ટળશે અને સારી સફળતા મળશે એવો મત પણ પવારે વ્યક્ત કર્યો હતો. મનસે સાથે સમાજવાદી, ડાબેરી બધા પક્ષોએ પણ એકત્ર આવીને ચૂંટણી લડવા અમે આગ્રહી છીએ, એમ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા જિતેન્દ્ર આવ્હાડે જણાવ્યું હતું. મહાવિકાસ આઘાડીની તાકાત વધીને ભાજપનો પરાભવ થાય એ જ પક્ષનો વિચાર હોવાનું આવ્હાડે જણાવ્યું હતું. દરમિયાન મુંબઈ કોંગ્રેસ સતત વિરોધ કરતી હોવાથી મનસે પણ નારાજ છે. મનસે નેતાઓ કહી રહ્યા છે કે અમારા પક્ષ પ્રમુખ રાજ ઠાકરે જ આખરી ફેંસલો લેશે. બીજી બાજુ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે પણ સ્પષ્ટ કર્યું છે કે અમે કોઈ પણ સંજોગોમાં મનસે જોડે જ ચૂંટણી લડીશું. આથી હવે રાહુલ ગાંધી શું વલણ અપનાવે છે તેની પર સૌની મીટ રહેશે. ઠાકરે બંધુ ભાજપનો માથાનો દુખાવોદરમિયાન જો ઠાકરે બંધુ એકત્ર આવે તો મરાઠી વોટનું વિભાજન ટળશે અને તેનાથી ભાજપને નુકસાન થઈ શકે. એકનાથ શિંદે ભાજપ સાથે હોવા છતાં ઠાકરે બંધુને કારણે શિંદે જૂથને પણ નુકસાન થઈ શકે છે. જોકે ચૂંટણી જાહેર થાય ત્યાં સુધી ઘણા બધા ઉતારચઢાવ જોવા મળશે.
ચકચાર:મંત્રી પંકજા મુંડેના અંગત સહાયકની પત્નીએ આત્મહત્યા કરતાં ખળભળાટ
વરલી વિસ્તારમાં ભાજપ નેતા અને પર્યાવરણ મંત્રી પંકજા મુંડેના અંગત સહાયક અનંત ગર્જેની પત્ની ગૌરી પાલવેએ ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે પતિ, દિયર અને નણંદ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ ઘટના ગુરુવારે સાંજે બની હતી. ગૌરી કેઈએમ હોસ્પિટલમાં ડેન્ટલ વિભાગમાં ડૉક્ટર તરીકે કામ કરતી હતી. દસ મહિના પહેલાં જ લગ્ન કરનાર આ દંપતી વચ્ચે કેટલાક સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો. જોકે વરલી પોલીસે આ કેસમાં અનૈસર્ગિક મૃત્યુનો કેસ નોંધ્યો છે, પરંતુ મૃત્યુના સંજોગો, કૌટુંબિક વિવાદોની પૃષ્ઠભૂમિ અને પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવેલા આરોપો કેસને નવો વળાંક આપી રહ્યા છે.ગૌરી પાલવેના મૃતદેહને શબપરીક્ષણ માટે કેઈએમ હોસ્પિટલમાં ખસેડાયો છે અને પોલીસ સમગ્ર ઘટના કેવી રીતે બની તેની તપાસ કરી રહી છે.આ પ્રકરણમાં પંકજા મુંડેને મૃતકના પરિવારે નિર્દોષ જાહેર કર્યા છે. સંબંધીઓએ આરોપ લગાવ્યો છે કે અનંત ગર્જેનું અનૈતિક વર્તન અને ઘરેલુ વિવાદ પંકજા મુંડેથી છુપાવવામાં આવ્યા હતા. પંકજા મુંડે સામે કોઈ આરોપ નથી. તેમણે સંપૂર્ણ જવાબદારી અનંત ગર્જેના વર્તન પર નાખી છે, એમ કહીને કે તેમની કાકી ગર્જેની હરકતોથી વાકેફ નહોતી. ઘણા પ્રશ્નો હજુ પણ અનુત્તરિતદરમિયાન, અનંત ગર્જે ઘટનાસ્થળે હાજર હતા કે નહીં, આત્મહત્યા પહેલાની પરિસ્થિતિ શું હતી, દલીલની પૃષ્ઠભૂમિ શું હતી, ચેટિંગના પુરાવા શું છે વગેરે સહિતના ઘણા પ્રશ્નો હજુ સુધી સ્પષ્ટ થયા નથી. પરિવાર દ્વારા કરવામાં આવેલા આરોપો અનુસાર તપાસની દિશા બદલાઈ શકે છે. પોલીસે તપાસ શરૂ કરી છે અને ઘટનાસ્થળનું નિરીક્ષણ, મોબાઇલ ડેટા વિશ્લેષણ, કોલ રેકોર્ડ, ચેટિંગના પુરાવા તેમજ પડોશીઓ, પૂજારીઓ અને સંબંધીઓના નિવેદનોના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. આ ઘટનાએ રાજકીય વર્તુળો અને આરોગ્ય ક્ષેત્રમાં પણ ખળભળાટ મચાવ્યો છે. વધુ તપાસ દ્વારા સત્ય બહાર ન આવે ત્યાં સુધી રાજ્ય આ બાબત પર ધ્યાન આપવાનું ચાલુ રાખશે.
ચીમકી:મતદાર ફોર્મની ઓનલાઇન એન્ટ્રીના કામનો શિક્ષકો બહિષ્કાર કરે તેવી શક્યતા
શિક્ષકોને મતદાર યાદી સુધારણાની કામગીરીમાં ફોર્મ મતદારો સુધી પહોંચાડવાની વાત હતી. શિક્ષકોએ મતદારોના ઘરે ઘરે ફોર્મ મોકલીને ભરીને તેને જમા કરવા જણાવ્યું હતું. ત્યારબાદ ભરીને આવેલા ફોર્મની ઓનલાઇન એન્ટ્રી કરવાની સુચના આપવામાં આવી છે. આથી શિક્ષકો મતદારયાદી સુધારણાના ભરાયેલા ફોર્મની ઓનલાઇન એન્ટ્રી કરવામાં મધ્યરાત્રીથી વધુ સમય લાગે છે. ત્યારે ઓનલાઇન એન્ટ્રીની કામગીરી અન્ય કર્મચારીઓ પાસે કરાવવામાં આવે તેવી આશા શિક્ષકો રાખી રહ્યા છે. બાળકોના શિક્ષણના ભોગે આટલી બધી કામગીરી શિક્ષકોને સોંપવાથી કામગીરીનો બહિષ્કાર કરી શકે તેમ ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે ચીમકી ઉચ્ચારી છે. હાલમાં મતદાર યાદી સુધારણાની કામગીરીમાં 72 ટકાથી વધારે પ્રાથમિક શિક્ષકોને સામેલ કરવામાં આવ્યા છે. ઉપરાંત સહાયક બીએલઓમાં પણ પ્રાથમિક શિક્ષકોના ઓર્ડર કરવામાં આવ્યા હોવાથી શાળામાં બાળકોના શિક્ષણના નામે અનેક પ્રશ્નો ઉદ્દભવી રહ્યા છે. ત્યારે સૌ પ્રથમ બીએલઓની કામગીરી સોંપતા પહેલાં શિક્ષકોને આપેલી તાલીમમાં માત્ર ફોર્મ દરેક મતદારના ઘરે પહોંચતા કરવાનો અને ભરાયેલા મતદાર સુધારણા યાદીના ફોર્મ જમા લઇને જિલ્લા ચૂંટણી પંચમાં જમા કરાવવાનો હતો. પરંતું જ્યારે હવે ફોર્મ જમા થઇ ગયા બાદ તેની ઓનલાઇન એન્ટ્રી કરવાની કામગીરી પણ શિક્ષકોને સોંપવામાં આવી છે. ત્યારે ભરાયેલા મતદાર યાદી સુધારણાના ફોર્મની ઓનલાઇન એન્ટ્રીમાં મધ્યરાત્રીથી વધુ સમય લાગતો હોવાથી શિક્ષકોની હાલત કફોડી બની જવા પામી છે. આથી શિક્ષકોની પાસે બીએલઓની કામગીરી કરાવવામાં આવી છે. તેમાં ભરાયેલા ફોર્મ જમા લઇને તેની ઓનલાઇન એન્ટ્રી અન્ય કોમ્પ્યુટરના નિષ્ણાંત કર્મચારીઓ પાસે કે આઉટોસોર્સિંગ કર્મચારીઓ પાસે કરાવવામાં આવે તેવી માંગણી શિક્ષકોમાં ઉઠી રહી છે. બાળકોના શિક્ષણના ભોગે બીએલઓની કામગીરી કરી રહેલા શિક્ષકોને તેમાંથી મુક્ત કરવામાં આવે તેવી અપેક્ષા શિક્ષકો રાખી રહ્યા છે. જો શિક્ષકોને આટલી બધી કામગીરી સોંપવાથી બીએલઓની કામગીરીનો શિક્ષકો બહિષ્કાર કરે તેવી ચીમકી શિક્ષકોએ ઉચ્ચારી છે. શિક્ષકો પર એક પછી એક કામગીરી થોંપવામાંં આૉવી રહી હોવાથી તેઓ શિક્ષણ કાર્યમાં સમય આપી શકતા નથી.
સમસ્યા:એક ખેડૂતને 2 ગામમાં પાક નુકસાન છતાં એક જ ગામની સહાય મળે તેવી સ્થિતિ
કમૌસમી વરસાદથી ખેતપાકને થયેલા નુકશાનના વળતર માટે ખેડુત પોર્ટલ ઉપર ઓનલાઇન એન્ટ્રી આધારકાર્ડ નંબરથી કરવાનો નિયમ છે. આથી એક જ ખેડુત ખાતેદારની બીજા ગામની જમીનમાં થયેલા ખેત પાકના નુકશાનનું વળતરનો લાભ મળશે નહી. કેમ કે આધારકાર્ડ નંબર નાંખવાથી બીજી એન્ટ્રી લેવામાં જ આવતી નથી. ત્યારે રાજ્ય સરકારની બે હેક્ટર ખેત પાકના નુકશાનના વળતરની અમલવારી નહી થવાથી ખેડુતોને આર્થિક માર સહન કરવો પડશે. દિવાળી પછી રાજ્યભરમાં પડેલા કમૌસમી વરસાદથી ખરીફ પાકને લણીને તેની સુકવણી કરવા ખેતરમાં પાતરા કર્યા હતા. ત્યારે પડેલા ધોધમાર વરસાદથી ખેતરમાં સુકવવા મુકેલો ખરીફ પાક પલળવાથી ફુગ લાગતા આર્થિક નુકશાન ખેડુતોને થયું હતું. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેત પાકના નુકશાનના વળતર પેટે પ્રત્યેક ખેડુત ખાતેદારને ઓછામાં ઓછું બે હેક્ટર નુકશાનનું વળતર આપવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. પરંતું ખેડુતોને બે હેક્ટરમાં થયેલા નુકશાનનું પણ વળતરનો લાભ મળશે નહી તેમ લાગી રહ્યું છે. કેમ કે ખેત પાકના નુકશાનની એન્ટ્રી ખેડુત પોર્ટલ ઉપર કરવાની છે. તેમાં ખેડુત ખાતેદારનો આધારકાર્ડ નંબરની એન્ટ્રી કરવામાં આવે છે. ત્યારબાદ એક ખેડુત અન્ય ગામમાં તેની જમીન હોય અને તેમાં ખેત પાકને નુકશાન થયું હોવા છતાં તેને વળતરનો લાભ મળતો નથી. કેમ કે ખેડુત ખાતેદારના આધારકાર્ડ નંબર સાથે પોર્ટલ ઉપર એન્ટ્રી કરવામાં આવે છે. આથી એક વખત એન્ટ્રી થયા બાદ આધારકાર્ડ નંબરના કારણે બીજી વખત ઓનલાઇન એન્ટ્રી થતી નહી હોવાનું કુડાસણમાં રહેતા ખેડુત ખાતેદાર હસમુખ ગોવિંદભાઇ પટેલે જણાવ્યું છે. તેઓ કરશનપુરા અને આદરજમોટી ગામમાં ખેડુતો ખાતેદાર હોવાની સાથે સાથે કમૌસમી વરસાદથી ખેત પાકને નુકશાન થયું હોવા છતાં આધારકાર્ડના કારણે ઓનલાઇન એન્ટ્રી થતી નથી. પોતાના થયેલા અન્યાયના ભાગરૂપે ખેડુત ખાતેદારે રાજ્યના કૃષિમંત્રીને લેખિત રજુઆત કરીને બે હેક્ટરની મર્યાદા સહાયના લાભથી ખેડુતો વંચિત રહેવાની રજુઆત કરી છે. ત્યારે ઓનલાઇન એન્ટ્રીમાં જરૂરી સુધારા કરવામાં આવે તેવી માંગણી સાથે ન્યાયની આશા રાખી રહ્યા છે.
સારવાર:છ વર્ષના બાળકની અન્નનળીમાં ફસાયેલા મેટલ બટનને દૂરબીનથી સલામત બહાર કઢાયું
સુરેન્દ્રનગર જિલ્લામાં રહેતા પરિવારનું છ માસના બાળકે જીન્સ પેન્ટનું મેટલ બટન ગળી જતા અન્નનળીમાં ફસાયું હતું. પરિવાર બાળકને લઇને ગાંધીનગર સિવિલમાં આવતા ઇએનટી વિભાગના એચઓડી ડો.યોગેશ ગજ્જરે દુરબીનથી સલામત રીતે મેટલ બટનને બહાર કાઢવામાં આવ્યું હતું. મેટલનું બટન ગળી જવાથી બાળકને ખાવામાં તેમજ પાણી પીવાના દુ:ખાવો થતાં પરિવારને બટન ગળી જવાની ખબર પડી હતી. બટન સલામત રીતે બહાર કાઢીને બાળકને જરૂરી સારવાર આપીને રજા આપવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના ઇએનટી વિભાગમાં વધુ એક છ વર્ષના બાળકની અન્નનળીમાં ફસાયેલા મેટલ બટનને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યું છે. આ અંગે ઇએનટી વિભાગના એચઓડી ડો.યોગેશ ગજ્જર જણાવ્યું છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં રહેતા એક પરિવારનું છ માસના દિકરો બે દિવસ પહેલાં જીન્સ પેન્ટનું મેટલનું બટન રમતા રમતા મોંઢામાં નાંખ્યું હતું. ત્યારબાદ મેટલનું બટન ઘળી જતા તે અન્નનળીમાં ફસાઇ ગયું હતું. જોકે બાળકને ખાવામાં અને પાણી પીવામાં દુ:ખાવાની સાથે સાથે તકલીફ થતાં પરિવારને બાળકને પુછતા જીન્સ પેન્ટનું બટન ગળી ગયો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પરિવાર બાળકને લઇને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ઇએનટી વિભાગમાં આવ્યા હતા. બાળકની મેડિકલ તપાસ કર્યા બાદ અન્નનળીમાં મેટલ બટન ફસાઇ ગયું હોવાનું માલૂમ પડ્યું હતું. આથી તબિબે તાત્કાલિક બાળકને ઇમરજન્સીમાં બેભાન કરીને દુરબીન નાંખીને કાળજી પૂર્વક મેટલ બટનને બહાર કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ જરૂરી સારવાર અને નિદાન માટે બે દિવસ સુધી બાળકને દાખલ રાખવામાં આવ્યા બાદ તેને રજા આપવામાં આવી હતી. મેટલ બટનના કારણે અન્નનળીના મ્યુકોઝા સૂજી ગયા હતાછ વર્ષના બાળકે જીન્સ પેન્ટનું મેટલ બટન ગળી જતા અન્નનળીમાં ફસાયું હતું. મેટલ બટનની ધાર હોવાથી તેનાથી અન્નનળીના મ્યુકોજા ડેમેજ થવાની તૈયારીમાં હોય તેમ આસપાસના મ્યુકોઝા ખૂબ જ સુજી ગયા હતા. આથી બાળકને નાક વાટે પાઇપ નાંખીને બે દિવસ સુધી પ્રવાહી ખોરાક આપવામાં આવ્યો હતો. મ્યુકોઝા સામાન્ય થતાં જ બે દિવસ પછી સામાન્ય ખોરાક શરૂ કરાયો હતો. ત્યારબાદ વધુ ઓબ્જર્વેશન ઉપર રાખ્યા બાદ બાળકને રજા આપવામાં આવી હોવાનું ઇએનટી વિભાગના એચઓડી ડો.યોગેશ ગજ્જરે જણાવ્યું છે. બાળક કોઇપણ વસ્તુ ગળી જાય તો તબીબનો સંપર્ક કરવોનાના બાળકો રમતા રમતા નાની નાની વસ્તુઓ રૂપિયાના સિક્કા, મોટા બટન, મેટલ બટન જેવી વસ્તુ ગળી જતા હોય છે. ત્યારે તેને ઘરગથ્થું ઉપચાર કરીને બહાર કાઢવા નહી. તેને બદલે તાત્કાલિક ઇએનટી ડોક્ટરનો સંપર્ક કરીને તેને મેડિકલ પદ્ધતિથી બહાર કાઢવા જોઇએ. કેમ કે આવી મેટલ કે કોઇપણ વસ્તુ બાળક ગળી જવાથી તે અન્નનળીમાં ફસાઇ જવાથી તેની ધારથી અન્નનળીના મ્યુકોઝાને ડેમેજ કરતા કાણું પડે તો જીવનનું જોખમી થવાની શક્યતા રહેલી હોવાનું ઇએનટી વિભાગના એચઓડી ડો. યોગેશ ગજ્જરે જણાવ્યું છે.
રોડ ડેવલપમેન્ટ:આઇકોનિક પીડીપીયુ રોડ પર કાફેટેરિયા, દેશ- વિદેશની ફૂડ બ્રાન્ડના સ્ટોલ ઊભા કરાશે
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના પ્રથમ આઇકોનિક રોડ ભાઇજીપુરાથી સિગ્નેચર બ્રિજ સુધીના માર્ગના ડેવલપમેન્ટની સાથે અહીંથી પસાર થતાં મુસાફરો તેમજ આસપાસમાં આવેલી યુનિવર્સિટીઓના સ્ટુડન્ટ્સની સુવિધા માટે કાફેટેરીયા બનાવવામાં આવ્યું છે. અહીં આવેલી 16 જેટલી દુકાનો દેશ- વિદેશની પ્રખ્યાત ફૂડ ચેઇનને સોંપવામાં આવશે. આ માટે ટેન્ડર બહાર પાડીને ફાળવણી કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટથી ગિફ્ટ સિટીને જોડતા મહત્વના માર્ગ એવા પીડીપીયુ રોડને 80 મીટર પહોળો બનાવીને તેને મહાનગરપાલિકા દ્વારા આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવામાં આવી રહ્યો છે. અહીં સિક્સલેન રોડ ઉપરાંત બંને તરફ સાયકલ ટ્રેક, વોક- વે, લેન્ડ સ્કેપીંગ, બ્યુટીફિકેશન સહિતના કામો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પીડીપીયુ, જીએનએલયુ સહિતની વૈશ્વિક કક્ષાની યુનિવર્સિટીઓ તેને સંલગ્ન હોસ્ટેલ પણ આવેલી હોવાથી અહીં નોલેજ કોરીડોર પણ વિકસાવવામાં આવ્યો છે. આ રોડ પરથી મેટ્રો પણ પસાર થાય છે ત્યારે રોડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા સુઆયોજિત રીતે કાફેટેરીયાની પણ સુવિધા ઉભી કરાઇ છે. આ માટે વિવિધ અંતરે કુલ 16 જેટલા ફૂડ સ્ટોલ બનાવવામાં આવ્યા છે. આ ફૂડ સ્ટોલની ફાળવણી માટે હવે ટેન્ડર બહાર પાડવામાં આવશે. પરંતુ ગાંધીનગરની સ્થાનિક જાણીતી રેસ્ટોરન્ટ્સ ઉપરાંત દેશ- વિદેશની પ્રસિદ્ધ ફૂડ ચેઇનના સ્ટોલ અહીં ખુલે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ દુકાનોના ભાડા પેટે મહાનગરપાલિકાને માતબર આવક થશે અને આ વિસ્તારમાં ખાણીપીણીની વિશેષ સુવિધા ઉપલબ્ધ થશે. જેનો સીધો ફાયદો નગરના નગરજનોને થશેે. સે-1ના લેકગાર્ડનની દુકાનો બંધ હાલતમાંમહાનગરપાલિકા દ્વારા પીડીપીયુ વિસ્તારમાં આ પ્રકારનું આયોજન કરાયું છે તેવું અગાઉ સરીતા ઉદ્યાન અને સેક્ટર-1ના લેક ગાર્ડન ખાતે પણ કરાયું હતું પરંતુ તે સફળ નિવડ્યું નથી. સરીતા ઉદ્યાન ખાતે બે દુકાનો પડી રહી છે જ્યારે સેક્ટર-1ના લેક ગાર્ડનમાં ચાલતી રેસ્ટોરન્ટને બાકી ભાડા મુદ્દે સીલ કરી દેવાઇ હતી. બાદમાં લાંબા સમયથી આ દુકાનો પડી રહી છે.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર RSSના વડા મોહન ભાગવતનું એક નિવેદન હતું, જેમણે કહ્યું હતું કે આપણે આપણા ધર્મ માટે લડવું જોઈએ. બીજા મોટા સમાચાર મૌલાના મદની સામે ભાજપના આરોપો હતા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર કાલના મોટા સમાચારો 1. મોહન ભાગવતે કહ્યું- ધર્મ માટે લડવું પડશે: CM યોગીએ કહ્યું- RSS સમાજના સમર્થનથી ચાલે છે, વિદેશી ફંડિંગથી નહીં રવિવારે લખનૌમાં દિવ્ય ગીતા પ્રેરણા ઉત્સવમાં RSS વડા મોહન ભાગવત અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક સ્ટેજ પર દેખાયા. મોહન ભાગવતે કહ્યું, આપણું ભારત વિશ્વ ગુરુ હતું. તે વિશ્વ માટે એક મહાન આધાર હતું. એક સમયે સમ્રાટો પણ હતા. હજારો વર્ષો સુધી, આપણે આક્રમણકારોના પગ નીચે દબાયેલા રહ્યા. આપણે ગુલામીમાં રહેવું પડ્યું. ધાર્મિક સ્થળોનો નાશ કરવામાં આવ્યો. બળજબરીથી ધર્માંતરણ થયા, પરંતુ ભારત હજુ પણ અસ્તિત્વમાં હતું. ગૌરવના તે દિવસો ગયા, પરંતુ આક્રમણના દિવસો પણ ગયા. હવે આપણે રામ મંદિર પર ધ્વજ ફરકાવવા જઈ રહ્યા છીએ. આપણે આપણા ધર્મની રક્ષા માટે લડવું પડશે. વિશ્વમાં શાંતિ ફક્ત ગીતા દ્વારા જ સ્થાપિત થઈ શકે છે. સીએમ યોગીએ કહ્યું, વિદેશી નેતાઓ અને રાજદ્વારીઓ વારંવાર પૂછે છે કે સંઘ કેવી રીતે કાર્ય કરે છે. હું તેમને કહું છું કે આરએસએસ એક સામાજિક રીતે જવાબદાર સંગઠન છે. તે વિદેશી ભંડોળ પર આધાર રાખતું નથી. સંપૂર્ણ સમાચાર વાંચો 2. PM મોદીએ કહ્યું- આતંકવાદમાં AIના ઉપયોગ પર પ્રતિબંધ લાગે: G20 સમિટમાં કહ્યું- ટેકનોલોજી માનવ-કેન્દ્રિત હોવી જોઈએ, નાણાં-કેન્દ્રિત નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જોહાનિસબર્ગમાં G20 સમિટના ત્રીજા સત્રમાં કહ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના દુરુપયોગને રોકવા માટે વિશ્વએ એક વૈશ્વિક કોમ્પેક્ટ બનાવવો જોઈએ. તેમણે કહ્યું કે AI સહિતની તમામ મહત્વપૂર્ણ ટેકનોલોજીઓ માનવ-કેન્દ્રિત હોવી જોઈએ અને તેનો ઉપયોગ વૈશ્વિક ભલા માટે થવો જોઈએ. તેમણે ઉમેર્યું કે ટેકનોલોજી માનવ-કેન્દ્રિત હોવી જોઈએ, નાણાં-કેન્દ્રિત નહીં. સંપૂર્ણ સમાચાર વાંચો 3. બોર્ડર તો બદલાતી રહે છે...:કોણ જાણે, કાલે સિંધ ભારતમાં પાછું આવી જાય, રક્ષા મંત્રી રાજનાથ સિંહનું મોટું નિવેદન રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું, સિંધનો પ્રદેશ આજે ભલે ભારતનો ભાગ ન હોય, પણ સભ્યતા અનુસાર તે હંમેશા ભારતનો ભાગ રહેશે. અને જ્યાં સુધી જમીનનો સવાલ છે, કોણ જાણે ક્યારે સરહદ બદલાઈ જાય અને કાલે સિંધ ભારતમાં પાછું આવી જાય. રાજનાથ સિંહે રવિવારે દિલ્હીમાં એક સિંધી સંમેલનને સંબોધિત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું. તેમણે લાલ કૃષ્ણ અડવાણીનો પણ ઉલ્લેખ કરતા કહ્યું હતું કે તેમણે (અડવાણી) તેમના એક પુસ્તકમાં લખ્યું હતું કે સિંધી હિન્દુઓ, ખાસ કરીને તેમની પેઢીના લોકો, હજુ પણ સિંધને ભારતથી અલગ માનતા નથી. સંપૂર્ણ સમાચાર વાંચો 4. આફ્રિકા સામેની વન-ડેમાં કેએલ રાહુલ કેપ્ટન:જાડેજા-પંતનું કમબેક, અભિષેકને ન મળી તક; ઈજાગ્રસ્ત શ્રેયસ-શુભમન બહાર, રોહિત-કોહલી 9 મહિના પછી ભારતમાં મેચ રમશે BCCIએ આફ્રિકા સામેની ODI સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. ઈજાગ્રસ્ત કેપ્ટન શુભમન ગિલ અને વાઇસ-કેપ્ટન શ્રેયસ અય્યર બહાર છે. વિકેટકીપર કેએલ રાહુલ ODI શ્રેણીમાં ટીમનું નેતૃત્વ કરશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી લગભગ નવ મહિના પછી ભારતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા જોવા મળશે. ત્રણ મેચની ODI સિરીઝ 30 નવેમ્બરથી શરૂ થવાની છે. વિકેટકીપર કેએલ રાહુલે ત્રણેય ફોર્મેટમાં ભારતનું નેતૃત્વ કર્યું છે. તેણે છેલ્લે 2023માં દક્ષિણ આફ્રિકા સામેની વનડેમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું, જ્યાં ભારત 8 વિકેટથી હારી ગયું હતું. તેણે 12 વનડેમાં ટીમનું નેતૃત્વ કર્યું છે, જેમાં 8 જીત અને 4 હારનો સામનો કરવો પડ્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો 5. ભાજપે કહ્યું, મદનીએ મુસ્લિમોને ગેરમાર્ગે દોરીને ફાયદો ઉઠાવે છે: મૌલાનાએ કહ્યું હતું- મુસ્લિમ લંડન-ન્યૂયોર્કમાં મેયર બની શકે છે, ભારતમાં યુનિવર્સિટીનો ચાન્સેલર પણ બની શકતો નથી ભાજપે જમિયત ઉલેમા-એ-હિન્દના પ્રમુખ મૌલાના અરશદ મદનીએ લગાવેલા આરોપોને ખોટા ગણાવ્યા છે. પાર્ટીના નેતા મોહસીન રઝાએ સોમવારે કહ્યું કે મદની અને તેમનો પરિવાર વર્ષોથી મુસ્લિમોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. અને ભેદભાવપૂર્ણ રાજકારણ કરીને ફક્ત પોતાનો જ ફાયદો ઉઠાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે મદનીએ મુસ્લિમ સમુદાયના નામે ઘણા વર્ષો ફાયદો ઉઠાવ્યો છે, પરંતુ સમુદાય માટે કંઈ કરવામાં આવ્યું નહીં. આ દરમિયાન, ભાજપના નેતા યાસીર જિલાનીએ પણ મદનીના નિવેદન પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ભારત મુસ્લિમો માટે વિશ્વનું સૌથી સુરક્ષિત અને શ્રેષ્ઠ સ્થળ છે. અહીંના હિન્દુઓ તેમના મોટા ભાઈઓ ની જેમ તેમની પડખે ઉભા છે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. હનીમૂન માટે ગયેલું ગુજરાતી કપલ જાકાર્તામાં ફસાયું:3 દિવસથી હોટલમાં ગોંધી રખાયા, પરિવાર પાસે 18 લાખ રૂપિયાની ખંડણી માંગી ઇરાનમાં ગુજરાતીઓનું કિડનેપિંગ થયાની ઘટના હજુ તાજી છે ત્યાં જ જાકાર્તા ફરવા ગયેલા ત્રણ ગુજરાતીઓ ફસાયા હોવાનો મામલો સામે આવ્યો છે. શુક્રવારથી આ ત્રણેયને એક હોટલમાં ગોંધી રખાયા છે અને છોડવા માટે પરિવાર પાસે 18 લાખ રૂપિયાની ખંડણી માંગી છે. આ ત્રણેય અમદાવાદના છે અને મંગળવારે ફરવા માટે ગયા હતા. અમદાવાદના નિસર્ગ (નામ બદલેલું છે) નામના યુવાનના તાજેતરમાં જ લગ્ન થયા હતા. તે પત્નીને લઇ હનીમૂન માટે જાકાર્તા અને બાલી જવાનો હતો. આ દરમિયાન તેની સાથે બીજો એક યુવાન સૌમિલ (નામ બદલેલું છે) પણ જોડાયો હતો. જાકાર્તા જતાં પહેલાં સૌમિલના મોટાભાઇએ પ્રવીણ શર્મા નામના એક એજન્ટનો કોન્ટેક્ટ નંબર આપ્યો હતો અને હોટલ બુકિંગ માટે તેમને મળવાનું કહ્યું હતું. સંપૂર્ણ સમાચાર વાંચો 7. ગાંધીનગરની કંપનીના માલિકને ડાંગ સાયબર પોલીસે દબોચ્યો:સાયબર ક્રાઈમના 14 ગુનામાં સંડોવણી ખુલી; આરોપી શેરબજાર, ક્રિપ્ટો અને રોકાણના નામે છેતરપિડીં આચરતો ડાંગ જિલ્લા પોલીસે આંતરરાજ્ય સાયબર ફ્રોડના એક ગંભીર કેસમાં મોટી સફળતા મેળવી છે. ડાંગ સાયબર ક્રાઇમ પોલીસે ગાંધીનગર સ્થિત માઇક્રો ટેક્નોલોજી કંપનીના માલિક રાજેશકુમાર રામચરિત્ર સિંઘને ઝડપી પાડ્યો છે. આરોપી 14 જેટલા સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલો હતો. ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન તેણે અન્ય ગુનાઓની પણ કબૂલાત કરી છે, જેનાથી તપાસનો વ્યાપ વધ્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ શહીદ નમાંશને પત્નીએ યુનિફોર્મમાં અંતિમ સેલ્યુટ આપ્યું:7 વર્ષની દીકરી, વૃદ્ધ માતા-પિતા અને પાઇલટ પત્ની ભાંગી પડ્યા, વિંગ કમાન્ડરની અંતિમ વિદાયનો ભાવુક VIDEO (સંપૂર્ણ સમાચાર વાંચો)2. વિદેશઃ અમેરકામાં ટ્રમ્પ વિરુદ્ધ લોકો રસ્તા પર ઊતર્યા:પ્રદર્શનકારીઓએ ‘ઈમ્પીચ, કન્વિક્શન એન્ડ રિમૂવ’ના નારા લગાવ્યા; વેનેઝુએલામાં સીક્રેટ ઓપરેશનની તૈયારીમાં ટ્રમ્પ (સંપૂર્ણ સમાચાર વાંચો)3. નેશનલઃ દિલ્હી-NCRમાં પ્રદૂષણ સંબંધિત નિયમોમાં ફેરફાર:જો AQI 200+ હશે તો ઓફિસ ટાઈમ બદલાશે; 400+ હશે તો 50% કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ (સંપૂર્ણ સમાચાર વાંચો)4. ક્રિકેટઃ ભારતે જીત્યો પહેલો બ્લાઇન્ડ વુમન્સ T20 વર્લ્ડ કપ:ફાઇનલમાં નેપાળ ફક્ત 1 જ બાઉન્ડ્રી ફટકારી શક્યું; ટુર્નામેન્ટમાં પાકિસ્તાન-ઓસ્ટ્રેલિયાને પણ હરાવ્યું (સંપૂર્ણ સમાચાર વાંચો)5. બિઝનેસઃ બ્લુચિપ ફંડ્સે 1 વર્ષમાં 15% વળતર આપ્યું:બજારના ઉતાર-ચઢાવ વચ્ચે આમાં રોકાણ કરવું ઓછું જોખમી, જાણો આ ફંડ સાથે જોડાયેલી જરૂરી વાતો (સંપૂર્ણ સમાચાર વાંચો)6. રાશિફળઃ આ સપ્તાહ કેવું રહેશે?:મીન જાતકોને આ સપ્તાહ મહેનતનું ફળ મળશે; તુલા જાતકોએ આ અઠવાડિયે વાહન સાવધાનીપૂર્વક ચલાવવું (સંપૂર્ણ સમાચાર વાંચો) ️ ચર્ચિત નિવેદન ખબર હટકે ફ્રીડાની પેઇન્ટિંગ ₹487 કરોડમાં વેચાઈ, રેકોર્ડ તૂટ્યો પેઇન્ટર ફ્રિડા કાહલોની પેઇન્ટિંગ એલ સુએનો (લા કામા) ન્યુ યોર્કના સોથેબીમાં ₹487 કરોડ (US$1.8 બિલિયન)માં વેચાઈ, જે કોઈ મહિલા આર્ટિસ્ટ દ્વારા વેચાયેલ સૌથી મોંઘી પેઇન્ટિંગ બની. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. પરિવારજનો જ કેમ બની રહ્યા છે એકબીજાના હત્યારા?:મરી જવું અથવા મારી નાખવું, ગુજરાતને હચમાચવતી આક્રમક ઘટનાઓની પેટર્ન 2. એક જ રાતમાં કરોડપતિના આખા પરિવારની હત્યા:કેનાલમાંથી યુવાન દીકરીની લાશ મળી, શું મૃતકોના આત્માએ પોતાની હત્યાનો બદલો લીધો? 3. આજનું એક્સપ્લેનર:એક્ટ્રેસ અને સેલિબ્રિટી શા માટે તેમના એગ ફ્રીઝ કરાવે છે? શું તેનાથી બાળકો પેદા કરવાનું સરળ બને છે? ખર્ચ અને ફાયદા-નુકસાન જાણો 4. સન્ડે જઝબાતઃ અમે રેટ માઈનર્સ ઉંદરની જેમ પહાડ ખોદીએ છીએ:ઘરના લોકોને અજાણ રાખી ઉત્તરાખંડ પહોંચ્યા, વૃદ્ધાના પતિને ન શોધી શક્યા તે આજે પણ ખૂંચે છે 5. દિલ્હીનો શૌર્ય-જયપુરની અમાયરા, વિદ્યાર્થીના સુસાઇડ પાછળ કોણ:વાલી બોલ્યા- સ્કૂલમાં ધમકાવતા, બાળકોએ મુશ્કેલી જણાવી, શિક્ષકો સમજી ન શક્યા કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ સોમવારનું રાશિફળ: મિથુન રાશિના લોકોને પ્રોપર્ટી ખરીદ-વેચાણ માટે અનુકૂળ સમય; મેષ અને ધન જાતકોને સામાજિક સંપર્કો ફાયદાકારક પણ સાબિત થશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:સ્થળાંતરિત મતદારોના ફોર્મના સૌથી વધુ પ્રશ્નો, મતદાન મથકો પર સાંજ સુધી ધસારો
ભાસ્કર ન્યૂઝ | ગાંધીનગર | SIRની પ્રક્રિયા 4 ડિસેમ્બર સુધીમાં પુરી કરી દેવાની થાય છે. તે પહેલા મતદારોની સહાયતા માટે આ છેલ્લા બે દિવસ ગાંધીનગરમાં તમામ બીએલઓને મતદાન મથકો પર હાજર રાખવામાં આવ્યા હતા. શહેરના બૂથ પર સવારથી જ મતદારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. સત્તાવાર સમય સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધીનો હતો પરંતુ મતદારોની સુવિધા માટે અનેક બુથ પર બીએલઓ સ્વયંભુ સાંજ સુધી રોકાયા હતા અને બપોર બાદ આવનારા મતદારોને પણ મદદ કરી હતી. દિવસ દરમિયાન ખાસ કરીને સ્થળાંતરિત થયેલા મતદારોનો ધસારો સૌથી વધારે જોવા મળ્યો હતો. ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓ વધારે હોવાથી સ્થળાંતરનું પ્રમાણ પણ વધારે રહેતું હોય છે. એ સિવાય હજારોની સંખ્યામાં સરકારી આવાસ તૂટી ગયા હોવાથી ત્યાંથી અન્ય સ્થળે ગયેલા મતદારો પણ પોતાના બૂથ પર પોતાના ફોર્મ અંગે ઇન્કવાયરી કરવા આવતા હતા. કેટલાક મતદારો તો બહારગામથી પણ આવ્યા હતા. બૂથ પર રવિવારે છેલ્લો દિવસ હતો પરંતુ તમામ બીએલઓ દ્વારા મતદારોની સુવિધા માટે સંપર્ક નંબરો પણ આપતા જોવા મળ્યા હતા. જે મતદારોને ફોર્મ ભરતા ન આવડે તેના ફોર્મ પણ બીએલઓ દ્વારા ભરી આપવામાં આવ્યા હતા. મતદારોને સૌથી વધુ 2002ની મતદાર યાદીના મેપીંગનો ઇશ્યુ થતો હોય છે. 2002માં તેઓ અન્ય સ્થળ કે અન્ય શહેરમાં રહેતા હોય તો ત્યાંની યાદીનો ભાગ નંબર, ક્રમ નંબર વગેરે ખબર ન હોય. આથી તેમને 2002ની યાદીમાં નામ શોધી આપવાની કવાયત પણ દિવસ દરમિયાન બીએલઓ દ્વારા કરવામાં આવી હતી. મહિલા મતદારોને પણ લગ્ન પહેલા 2002ની યાદીમાં નામ શોધવામાં મુશ્કેલી અનુભવાતી જોવા મળી હતી. અનેક મતદારોને બીએલઓએ ફોર્મ ભરી આપ્યાં હતા. સ્થળાંતરિત મતદારોના ફોર્મના સૌથી વધુ પ્રશ્નો સામે આવ્યા હતા. મતદાન મથકો પર સાંજ સુધી ધસારો રહ્યો હતો. કલેક્ટરે મતદારોના પ્રશ્નોના જવાબ આપ્યાકલેક્ટર અને ચૂંટણી અધિકારીએ વાવોલ અને પાલજના મતદાન મથકો પર પહોંચ્યા હતા અને SIRની કામગીરી ચકાસી હતી. આ દરમિયાન મતદારોને પણ તેઓ મળ્યા હતા અને તેમના પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. મતદારોને SIR મામલે કોઇ મુશ્કેલી હોય તો તંત્ર સાથે સંકલન કરીને તેમને સહાયરૂપ થવા માટે શહેર ભાજપ દ્વારા પણ તમામ બૂથ પર સંગઠનના નેતાઓ અને કાર્યકરોને મોકલ્યા હતા. કોંગ્રેસના કાર્યકરો પણ બુથ પર પહોંચ્યા હતા. બીએલઓને અડધી રાત્રે ફોન આવે છે, ઘર શોધવામાં કૂતરુ કરડી ગયુંસતત એક મહિનો ચાલનારી SIRની પ્રક્રિયામાં સૌથી વધુ પરેશાનીનો સામનો બીએલઓને કરવો પડી રહ્યો છે. જોકે, આ પ્રક્રિયામાં સૌથી મહત્વની કામગીરી પણ તેમની રહી છે. મતદારોની સુવિધા માટે બીએલઓ દ્વારા નંબર જાહેર કરાતા હોવાથી કેટલાક બીએલઓને અડધી રાત્રે પણ ફોન આવે છે જેથી તેમને રાત્રે મોબાઇલ સ્વીચઓફ કરી દેવો પડે છે. ગ્રામ્ય વિસ્તારોમાં ફોર્મ પહોંચાડવા માટે ઘર શોધતી વખતે કૂતરુ કરડી જવાનો પણ બનાવ બન્યો હતો. મોટાભાગના મતદારોને એક જ ફોર્મ મળ્યાની ફરિયાદગાંધીનગરમાં તમામ બીએલઓને કલેક્ટર કચેરી દ્વારા મતદારોના ફોર્મ પુરા પાડવામાં આવ્યા છે. પરંતુ મોટાભાગના બુથ પર એક જ ફોર્મ અપાયું હોવાથી મતદારોએ ફોર્મ જમા કર્યાના પુરાવા તરીકે ફોર્મની ઝેરોક્સ કરાવીને બીએલઓની સહી લીધી હતી.
આયોજન:ઇન્દ્રોડામાં ઉનાળા સુધીમાં નર્મદાનું પાણી આપી દેવાશે
ઇન્દ્રોડા ગામના લોકોને આગામી ઉનાળામાં પીવાનું નર્મદાનું પાણી મળી રહે તે માટે તંત્રએ તૈયારી શરૂ કરી છે. ગામમાં નવી પાઇપલાઇન નાંખી દેવામાં આવી છે. ઉંચી ટાંકીનું કામ પણ પૂરું થયું છે. હવે પમ્પિંગ મશીનરી લગાવવાનું અને ઇલેક્ટ્રિફિકેશનનું કામ શરૂ થયું છે. આગામી એક બે મહિનામાં જ નવી મશીનરી સહિત પાઇપલાઇન નેટવર્કનું ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવશે. જેથી ઉનાળામાં પુરતા ફોર્સથી પુરતા પ્રમાણમાં તમામ ઘરોમાં પીવાનું પાણી મળી રહે. ગામની ભૂગોળ ઢાળવાળી હોવાથી પાણીનું વિતરણ ગ્રેવીટીથી નહીં થાય. પાટનગરની જેમ અહીં પણ પ્રેસર ટેકનોલોજીથી પાણી અપાશે. પાણીના નેટવર્ક માટે રૂ. 5 કરોડની યોજના અમલમાં છે. હાલના તબક્કે 24 કલાક પાણી આપવાનું આયોજન નથી. ઇન્દ્રોડા ગામ પાસે નર્મદા કેનાલની લાઇન નથી. તેથી તંત્રએ રસ્તા પરથી પસાર થતી ટ્રંક લાઇનમાંથી જોડાણ આપવા માટે એક કિમી લાંબી નવી લાઇન નાંખી છે. હવે 16 હજાર વસ્તીને નર્મદાનું પાણી આપવા તંત્ર 6 એમએલડી પાણી ઉપાડશે. નવા 1500 નળ જોડાણ અપાશે. બોર બંધ કરીને પમ્પિંગથી પાણી આપવાથી વીજળીનો વપરાશ ઘટશે. દબાણથી પૂરતું પાણી મળતાં વપરાશકર્તા અને તંત્ર બંનેના લાઇટ બિલમાં ઘટાડો થશે. સરકારની નલ સે જલ યોજના હેઠળ ગેરકાયદે રહેઠાણમાં પણ પાણીનું કનેક્શન મળશે.
કાર્યવાહી:દુષ્કર્મ - અપહરણના કેસમાં ફરાર આરોપી રાજસ્થાનથી ઝબ્બે
ભરૂચ પેરોલ-ફર્લો સ્કવોડે બળાત્કાર અને અપહરણના ગુનામાં છેલ્લા આઠ વર્ષથી ફરાર આરોપી યુનુસ અલી ઉસ્માનગની વ્હોરાને રાજસ્થાનના અજમેર બસ સ્ટેન્ડ પરથી ઝડપી પાડ્યો છે. આરોપી સજા ભોગવી રહ્યો હતો અને પેરોલ જંપ કરીને ભાગી ગયો હતો. ભરુચ પેરોલ-ફર્લો સ્ક્વોડની ટીમ આરોપીની શોધખોળ કરી રહી હતી તે વેળા બાતમી મળતા કાર્યવાહી કરવામાં આવી હતી.
ગીફ્ટસીટીના 3.5 કિમી વિસ્તારમાં રૂપિયા 1050 કરોડના ખર્ચે મેટ્રો રેલ દોડતી કરવામાં આવશે. તેના માટે ગીફ્ટસીટી વિસ્તારમાં શાહપુર, બાયોટેકનોલોજી યુનિવર્સિટી અને ગીફ્ટસીટી ક્લબ ખાતે મેટ્રો રેલના સ્ટેશન ઉભા કરાશે. જેનાથી ગીફ્ટસીટી વિસ્તારની આંતરરાષ્ટ્રીય ઓફિસના કર્મચારીઓ તેમજ ગીફ્ટસીટી વિસ્તારના પાંચ ગામોના લોકોને મેટ્રો રેલના ટ્રાન્સપોર્ટેશન સેવા આગામી 4 વર્ષમાં પૂર્ણ કરાશે. શાહપુર, લવારપુર, પિરોજપુર, વલાદ, રતનપુર ગામની વચ્ચે આવેલા ગીફ્ટસીટીમાં હાલમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓની કચેરીઓ આવેલી છે. આગામી પાંચેક વર્ષમાં વધુ આંતરરાષ્ટ્રીય કંપનીઓ પોતાની ઓફિસ ખોલવા માટે લાઇનમાં ઉભી છે. હાલમાં ગીફ્ટસીટી સુધી મેટ્રો રેલ પહોંચાડવામાં આવી છે. આગામી ચારેક વર્ષ પછી ગીફ્ટસીટીની અંદર પણ મેટ્રો રેલ દોડતી કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે. જેના ભાગરૂપે ગીફ્ટસીટીમાં 3.5 કિમી વિસ્તારમાં મેટ્રોરેલ સેવા શરૂ કરવા માટે 1050 કરોડના ખર્ચની મંજુરી માટે કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારમાંથી આગામી એકાદ માસમાં મંજુરી આવી જશે. ત્યારબાદ ટેન્ડરીંગ સહિતની કામગીરી હાથ ધરીને મેટ્રો રેલ દોડતી કરવામાં આવશે. જોકે ગીફ્ટ સીટીને સંપુર્ણ પણે ડેવલોપ થવામાં હજુય પાંચેક વર્ષ જેટલો સમય લાગે તેમ છે. ત્યારે ટ્રાન્સપોર્ટેશન સેવાના ભાગ રૂપે મેટ્રો રેલ સેવાનો લાભ લોકોને મળી રહેશે. કેન્દ્ર સરકારમાંથી મેટ્રો રેલની મંજુરી મળ્યા બાદ આગામી 45 માસમાં સંપુર્ણ મેટ્રો રેલ સેવા શરૂ કરાશે. શાહપુર, ગિફ્ટસિટી ક્લબ અને બાયો.યુનિ. ખાતે મેટ્રો રેલ સ્ટેશન બનશે. 5 ગામના 19000 લોકોને લાભ મળશેગીફ્ટસીટીમાં મેટ્રો રેલ સેવા દોડતી કરવામાં આવતા આસાપાસના પાંચ ગામના 19000 લોકોને તેનો સીધો લાભ મળી રહેશે. કેમ કે ગીફ્ટસીટીની મધ્યમાં આવેલા પિરોજપુર અને રતનપુરની 4500 વસ્તીને લાભ મળશે. ઉપરાંત આસપાસના શાહપુરની 4500, વલાદની 7000, લવારપુરની 3000 વસ્તીને પણ તેનો લાભ મળશે. 3 સ્ટેશનથી કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને રાહતમેટ્રો રેલના ત્રણ સ્ટેશન ઉભા કરાશે. તેમાં ગીફ્ટસીટી ક્લબ પાસે આવેલી શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કચેરીઓના કર્મચારીઓને તેનો લાભ મળશે. જ્યારે શાહપુરના મેટ્રો સ્ટેશનથી ગીફ્ટસીટીમાં નોકરીએ આવતા કર્મચારી અને શાહપુરના 4500 લોકોને તેનો લાભ મળશે.
જૈનુલ અન્સારી ગોતામાં બની રહેલી ગોદરેજ સેલેસ્ટ નામની સ્કીમ ગોદરેજ અને શ્રી સિદ્ધિ ગ્રૂપ વચ્ચેના વિવાદના કારણે 2 વર્ષથી બંધ છે. 1169 લોકોએ સરેરાશ 15થી 25 લાખ રૂપિયાની રકમ ચૂકવી દીધી છે. સરેરાશ 20 લાખ રૂપિયાનું રોકાણ એક વ્યક્તિનું થાય છે. આમ 233 કરોડથી વધુ રૂપિયા લોકોના ફસાઈ ગયા છે. સ્કીમના રોકાણકારોને ડિસેમ્બર, 2025 સુધીમાં પજેશન અપાશે એવીની જાહેરાત ઓનલાઇન રિઅલ એસ્ટેટ વેબસાઇટ પર કરાઈ હતી. જોકે, જે જગ્યાએ ફ્લેટ બનવાના છે ત્યાં ફક્ત ખાડા ખોદેલા છે. ગુજરેરામાં સબમિટ કરેલા રિપોર્ટ મુજબ, પહેલાં 48 ટકા કામ પૂર્ણ થયાનું બતાવતું હતું અને હવે 13 ટકા જ કામ પૂર્ણ થયાનું બતાવે છે. આ સ્કીમની હાલત પણ ગિફ્ટ સિટીમાં ડબ્લ્યુટીસી સ્કીમની જેમ ન થઈ જાય તેવો રોકાણકારોને ભય છે. ઑગસ્ટ, 22માં ગોદરેજ સેલેસ્ટમાં રોકાણકારોને પ્રિમિયમ હાસિંગના વચન સાથે પ્રથમ ફેઝનું કામ ડિસેમ્બર, 25માં પૂર્ણ થઈ જશે તેવી વાતો કરાઈ હતી. જોકે, આ પ્રોજેક્ટનું કામ ઓક્ટોબર 23થી બંધ છે. 2022થી 2023માં બનાવાયેલા 3 માળ માર્ચ, 25માં તોડી પડાયા હતા. રોકાણકારોએ પૂછતાં ગોદરેજના અધિકારીઓએ જણાવ્યું કે બાંધકામ હલકી ગુણવત્તાનું છે, તેને તોડી એડવાન્સ ટેક્નોલોજીથી ફરીથી બનાવીશું. આજે આ વાતને પણ 8 મહિના થઈ ગયા છે. છતાય કોઈ કામ હાથ ધરાયું નથી. સિદ્ધિ ગ્રૂપના ડાયરેક્ટર મુકેશ પટેલે કહ્યું કે, કામ ટૂંક સમયમાં શરૂ થઈ જશે. પીસ સ્કીમમાં 7.5% વ્યાજનું વચન આપ્યું હતુંઅન્ય એક રોકાણકાર વશિષ્ઠભાઈએ જણાવ્યું કે, ગોદરેજવાળા પીસ સ્કિમ લઈને આવ્યા હતા. જેમાં વધારે રકમ ચૂકવવા પર 7.5 ટકા વ્યાજ આપવાની સ્કીમ લાવ્યા હતા. જેમાં વધારાની રકમ આપવા પર પજેશન સમયે સેટલમેન્ટનું કહેવામાં આવ્યું હતું. આ સ્કીમમાં મારા 25 લાખ જેટલા રૂપિયા રોક્યા છે. અન્યએ તો 30થી 35 લાખ રૂપિયા આ સ્કીમમાં મૂક્યા છે. હાલમાં અમે એવા ફ્લેટના હપતા ભરી રહ્યાં છીએ, જેનું કોઈ અસ્તિત્વ જ નથી : રોકાણકારોરોકાણકાર મયૂરસિંહ ગોહિલે જણાવ્યું કે 2022માં સ્કીમ ચાલુ થઈ ત્યારે બમ્પર ડિસ્કાઉન્ટ આપતા હતા. સેલેસ્ટમાં તમામ રૂપિયા વ્હાઇટમાં આપવાના હતા. તેથી 55 લાખમાં 3 બીએચકે બુક કર્યો હતો. ડિસેમ્બર, 2025માં પજેશન મળી જશે તેવું કહેવાયું હતું પણ 2023માં જ કામ બંધ કરી દીધું હતું. શરૂઆતમાં તો મજૂરો તહેવાર કરવા ગયાનું કહ્યું. પછી 2024માં ઈમેલ દ્વારા કહ્યું કે બાંધકામ સારી ગુણવત્તાનું કરવાનું હોવાથી 3 માળ તોડી રહ્યા છે. તેના પછી કામ ચાલુ નથી થયું. શ્રી સિદ્ધિ ગ્રૂપનું કહેવું છે કે તમે અમને જોઈને ફ્લેટ નહોતા ખરીદ્યા. ગોદરેજનું કહેવું છે કે અમારા હાથ-પગ બંધાયેલા છે. હાલમાં અમે લોકો એવા ફ્લેટનો હપતો ભરી રહ્યા છે જેનું કોઈ અસ્તિત્વ જ નથી. ગોદરેજ અને સિદ્ધિ ગ્રૂપને નોટિસ અપાઈનિવૃત્ત આઇએએસ અને રેરાના સભ્ય એમ. એ. ગાંધીએ જણાવ્યું કે ગોદરેજ સેલેસ્ટ સ્કીમ બાબતે ફરિયાદ મળી છે. આ અંગે અમે ગોદરેજ અને સિદ્ધિ ગ્રૂપને નોટિસ આપી છે. તેઓ મુદત સમયે હાજર નહોતા થયા. તેમના તરફથી વકીલ હવે હાજર થયા છે. આ એક કાયદાકીય પ્રક્રિયા છે. તેની સુનાવણી ચાલુ છે. તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ગ્રાહકો પાસેથી વસૂલાયેલી રકમ પર સંપૂર્ણ નિયંત્રણ સિદ્ધિ ગ્રૂપનું : ગોદરેજ પ્રોપર્ટીઝગોદરેજ પ્રોપર્ટીઝ લિમિટેડે જણાવ્યું કે સેલેસ્ટ પ્રોજેક્ટના બાંધકામ અને વિકાસની સંપૂર્ણ જવાબદારી શ્રી સિદ્ધિ ગ્રુપની છે અને પ્રોજેક્ટની શરૂઆતથી જ તમામ બૅન્ક ખાતાં તથા ગ્રાહકો પાસેથી વસૂલાયેલી રકમનું નિયંત્રણ પણ સિદ્ધિ પાસે જ રહ્યું છે. બાંધકામમાં થયેલો વિલંબ સિદ્ધિ અને તેના ભાગીદારો વચ્ચેના વિવાદોને કારણે થયો છે. અમે રેરા સમક્ષ બાંધકામ અમને સોંપવા સત્તાવાર વિનંતી કરી છે જેથી ગ્રાહકોના હિતમાં પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરી શકાય.
વિરોધ:2002ની મતદાર યાદીમાં પિતાના નામના પુરાવા સામે સંતોનો વિરોધ
SIR થી બની રહેલ નવી મતદાર યાદી માં ખાસ કરીને 2002 ની મતદાર યાદીમાં પિતાના નામના પુરાવા હોવા ફરજિયાત છે ત્યારે આ બાબતે સાધુસંતો નારાજ જોવા મળી રહ્યા છે. અને સાધુસંતો ને આ નિયમથી બાકાત રાખવા માંગ કરી છે. નર્મદા જિલ્લામાં નર્મદા કિનારે અનેક આશ્રમો આવેલા છે. અને જેમાં નિવાસ કરતા હજારો સાધુ સંતો દેશના વિવિધ રાજ્યોમાંથી અહીંયા વસવાટ કરે છે.આટલા વર્ષોથી તેઓનું મતદાન મથકમાં નામ છે.મતદાન કરતા આવ્યા છે.તો આ સુધારાના યાદીમાં 2002 ની યાદીનું શું કામ આટલો જૂનો રેકોર્ડ કોની પાસે હોય એ બાબતે અખિલ ભારતીય સંત સમિતિ એ નારાજગી વ્યક્ત કરી છે. અખિલ ભારતીય સંત સમિતિના નર્મદા જિલ્લા મહામંત્રી સદાનંદ મહારાજે જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા જે મતદાન પ્રક્રિયાની કામગીરી છે તેમાં સુધાર કરવાની આવશ્યકતા છે વિરક્ત સંતો પાસે જૂની યાદી ન હોય તે સ્વાભાવિક છે. સંતો ભ્રમણ કરતા હોવાથી તેમનું સ્થાન નકકી હોતું નથી.
બીએલઓની કામગીરી:સરકારી ફરમાન સામે અસહાય બીએલઓને મળ્યા સહાયકો
જીજ્ઞેશ વસાવાભરૂચ જિલ્લામાં બીએલઓ ઘરે ઘરે તેમજ બૂથ પર એસઆઈઆરની કામગીરી કરી રહ્યા છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં કામ કરતા બીએલઓ તેમજ લોકો પડતી સમસ્યાને લઈને દિવ્ય ભાસ્કરની ટીમે વાલિયા નેત્રંગ તાલુકાનાં કેટલાક વિસ્તારમાં તપાસ કરી હતી. તેમાં જોવા મળ્યું હતું કે મહિલા બીએલઓને તેમના પતિ પોતાનું કામ છોડીને ફોર્મ ભરવામાં તેમને મદદ કરી રહ્યા છે. તો કેટલીક જગ્યાએ શિક્ષક ગ્રામજનો પણ બીએલઓને ફોર્મ ભરવા તેમજ ઓનલાઇન કરવા માટે મદદ કરી રહ્યા હતા તેવું જોવા મળ્યું હતું. તેમની સાથે વાતચીત કરતાં તેઓએ જણાવ્યું હતું કે, જલ્દી કામગીરી પૂર્ણ કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. કોઇ ગામમાં બીએલઓને તેમના પતિ તો કોઇ ગામમાં ગામલોકો મદદ કરતાં જોવા મળ્યાં હતાં. કિસ્સો -1 10 નાપાસ એટલે અંગ્રેજીવાંચતા મને આવડતું નથીફોમ ભરવામાં મને કઈ સમજણ પડતી નથી જેથી ઘણી તકલીફ પડી રહી છે. જેથી ઉપરી અધિકારીને પણ મે આ બાબતે જાણ કરી હતી. ત્યારે સાહેબે મને કીધું હતું કે એ તો તમને આવડશે પણ હું 10 ફેલ એટલે અંગ્રેજી વાંચતા આવડતું નથી. રાત્રે ઊંઘ પણ આવતી હતી નહીં કે કામગીરી કેવી રીતે કરીશ. પણ હાલ ગામના સ્થાનિક તેમજ એક સહાયક શિક્ષક અપાયાં છે કિસ્સો 2 એક દિવસમાં 80 ટકાકામગીરી કરાવાઇ રહી છેઝડપથી કામગીરી કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મારા પતિ પણ મારી સાથે ફોર્મ ભરી મારી મદદ કરી રહ્યા છે. જેના કારણે ઘરના કામ ખેતીના કામ અટકી પડ્યા છે. પશુઓને ચારો કાપીને આપવા સમય મળતો નથી તેથી પૈસા ખર્ચીને લાવવું પડે છે. આખો દિવસ કામગીરી ચાલુ રહેતા જમવાનો પણ સમય મળતો નથી. શુક્રવારે અમારી પાસે 80 ટકા કામ માગ્યું હતું.
મોત:તિલકવાડામાં ખોદકામ દરમિયાન પરાઇ ભૂગર્ભ વીજલાઇનને અડતાં 2ના મોત
તિલકવાડા તાલુકામાં રેલ્વે સ્ટેશન નજીક અંડરગ્રાઉન્ડ વાયરીંગની કામગીરી દરમિયાન કરંટ લાગતા 2 શ્રમજીવીઓના મોત થયા હોવાની ઘટના સામે આવી છે.આ ઘટના હજુ પોલીસ ચોપડે નોંધાઈ નથી, પરંતુ શ્રમજીવીઓના પરિવારજનો દ્વારા પોલીસ કેસ અંગે કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. તિલકવાડા તાલુકામાં રેલ્વે સ્ટેશન નજીક ખાડા ખોદી અંડરગ્રાઉન્ડ વાયરીંગની હાલમાં કામગીરી ચાલી રહી છે. ત્યારે એવી જ કામગીરી દાહોદ જિલ્લાનાં ગરબાડા તાલુકાના 2 યુવાનો કરી રહ્યા હતા.બેવ યુવાનો લોખંડની પરાઈ વડે ખાડો ખોદી જેવા ખાડામાં ઉતર્યા કે તરત અંદરથી જીવતો વીજ વાયર અજાણતા એમની લોખંડની પરાઈને અડી જતા કરંટ લાગ્યો હતો એ દરમિયાન ઘટનાસ્થળ પર જ એમનું મોત નીપજ્યું હતું.અંડર ગ્રાઉન્ડ કામગીરી દરમિયાન જમીનમાં વીજ વાયર અડી જતા ઘટના બની હોવાનું જાણવા મળેલ છે.બન્ને યુવાન અંદાજિત 25 થી 30 વર્ષના છે અને તેઓ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના હોવાનું જાણવા મળ્યું છે.જો કે બન્ને યુવકના મૃતદેહને તિલકવાડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.તિલકવાડા પોલીસે સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. મૃતક શ્રમિકોની ઓળખ વિજય બાબુભાઈ મેળા અને ગોવિંદ મનુભાઈ ડામોર તરીકે થઈ છે. આ બન્ને યુવાનોની ઉંમર અંદાજિત 25 થી 30 વર્ષની હતી અને તેઓ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના રહેવાસી હોવાનું જાણવા મળેલ છે.
યુવાન પટકાયો:મોરબીમાં અગાશીની પાળીએ બેઠેલા યુવાનને ચક્કર આવી જતાં પટકાયો
મોરબીમાં મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઈન્દિરાનગર વિસ્તારમાં રહેતો યુવાન પોતાના ઘરની છત ઉપર પારા પેટે બેઠો હતો. તે દરમિયાન તેને ચક્કર આવતા તે નીચે પડી ગયો હતો જેથી તેને માથામાં અને શરીરે ગંભીર ઇજા થવાના કારણે તે યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં શિવમ હોસ્પિટલની પાછળના ભાગમાં રહેતા દીપકભાઈ પરમાર પોતાના ઘરે છત ઉપર બેસવા માટે ગયો હતો અને છતની પારાપેટ ઉપર બેઠો હતો, અચાનક ચક્કર આવતા તે ઉપરથી નીચે પટકાયો હતો જેથી કરીને તે યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા. જો કે સારવાર કારગત ન નીવડતા તે યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવની મૃતક યુવાનના ભાઈ કમલેશભાઈ હરિભાઈ પરમારે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે પોલીસે યુવક કોઇ કારણોસર અન્ય ચિંતામાં તો ન હતો ને? તે સહિતના સવાલોનો જવાબ મેળવવા તજવીજ શરૂ કરી છે. કેમકે પાળી પર બેસવા માત્રથી ચક્કર આવે તે કારણ પહેલી નજરે પોલીસને માનવામાં આવતું નથી. જો કે વધુ વિગત તો તપાસ બાદ જ સામે આવશે તેમ સુત્રોએ જણાવ્યું છે.
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા જેતપુર નગરપાલિકાને ડિસે-૨૬ સુધીમાં સુએઝ નેટવર્ક પૂર્ણ કરવા અને જીપીસીબીને ઉદ્યોગોનું નિયમીત મોનીટરીંગ કરવા ફાઈનલ આદેશ જારી કરવામાં આવ્યો છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે જેતપુરની ભાદર નદીના પાણી પ્રદુષણના મુદે દાખલ થયેલ રીટ પીટીશનના ફાઈનલ ઓર્ડરમાં જેતપુર–નવાગઢ નગરપાલિકાને શહેરના બાકી રહેલા ૩૦% જેટલા ડોમેસ્ટિક સુએઝને પાઈપ લાઈન નેટવર્ક દ્વારા ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ડીસેમ્બર-૨૬ સુધીમાં ભેળવવા તાકીદ કરેલ છે. અને નગરપાલિકાને જણાવ્યુ કે, કોઈ પણ જાતના અનટ્રીટેડ સુએઝને સ્ટોમ વોટર ડ્રેઈનમાં ડીસ્ચાર્જ ન કરવામાં આવે તેમજ અનટ્રીટેડ સુએઝ કે ઇન્ડ્રસ્ટીયલ એલ્ફ્લ્યુઅન્ટને ભાદર નદીમાં ન છોડવામાં આવે તે માંટે પુરેપુરી તકેદારી રાખવા જરૂરી પગલાઓ ભરવામાં આવે તેવી તાકીદ કરી છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે જીપીસીબીને હુકમ કર્યો છે કે, જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટીંગ એશોસીએશન દ્વારા ચલાવાતા સીઈટીપી અને કોઈ પણ ઔધોગિક એકમો દ્વારા ભાદર નદી અથવા સ્ટ્રોમ વોટર ડ્રેઈનમાં ગંદુપાણી ન છોડવામાં આવે તેની તકેદારી રાખવામાં આવે અને કોઈ પણ ઉદ્યોગો અનઅધિકૃત રીતે ન ચલાવવા દેવામાં આવે.આ મેટરમાં જોઈન્ટ કમિટીના ઇન્સ્પેકશન રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ઘણી જગ્યાએ ડોમેસ્ટીક સુએઝને સુએઝ નેટવર્કમાં જોડાણ આપેલ ન હોવાથી સ્ટ્રોમ વોટર ડ્રેઈનમાં થઈને ભાદરમાં ભળે છે. જોઈન્ટ કમીટીએ ભાદર નદીના પાણી પ્રદુષણને અટકાવવા માટે એશોસીએશન દ્વારા લીધેલ પગલાઓ-કામગીરીની સ્થળ તપાસ કરતા નોંધ કરી હતી કે ઉદ્યોગ દ્વારા ઔદ્યોગિક ગંદુ પાણી ઠાલવવામાં આવતું નથી.
ભાસ્કર ફોટો સ્ટોરી:મોબાઇલ નહીં, મેદાનમાં મસ્તી : મોરબીમાં ધમાલ ગલી'માં બાળકોએ રમતો માણી
બાળકોને મોબાઇલથી દુર રાખવા અને મેદાની તેમજ શેરી રમતો તરફ વાળવા માટે મોરબીમાં ધમાલ ગલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. આજના યુગમાં બાળકો મોબાઇલથી એટલા બધા પ્રભાવિત છે કે પ્રકૃતિના ખોળે રમાતી શેરી રમતોથી બિલકુલ જ વિમુખ બની ગયા છે અને આવી રમતો તેમના માટે દંતકથા બની જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે બાળકોને બાળપણની સાચી મજા શેમાં હોય તેની અનુભૂતિ કરાવવા બાળકોને શેરી રમતો રમાડવામાં આવી હતી. ધમાલ ગલીમાં ખોખો, કબડ્ડી, દોરડા કૂદ, ભમરડો સ્પિનિંગ ટોપ-લટ્ટુ, લીંબુ ચમચી, રેસ જેવી વિસરાતી રમતોનો બાળકો તેમજ મોટેરાઓએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે અને ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા સહિતના અધિકારીઓએ પણ બાળકો સાથે રમતો રમીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. જો કે ઘણા બાળકોએ તો પહેલીવાર જ શેરી રમતો રમી હતી. આ બાળકોને મોબાઈલ ગેમ જ રમતો હોવાનું લાગતું હતું. પણ બાળકો પહેલીવાર મોબાઈલ ગેમથી દૂર રહીને શેરી રમતો રમીને આનંદથી ઝૂમી ઉઠ્યા હતા.
શહેરમાં પોલીસની PCR પર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં કાલાવડ રોડ પર અવધના ઢાળિયા પાસે ડેકોરા સ્કાય હિલ્સની પાછળ ઝૂંપડા પાસે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ઉમેશકુમાર બાલાસરા PCR વાન સાથે નીકળ્યા હતા. રાત્રિના ફરજ પર રહેલા આ કોન્સ્ટેબલને બસંત માજી, દિનેશ ચમાર, દીપક નાયક, ઠાકુર, નૂરફો અને જલધર ઉપરાંત 10થી 15 શખ્સોના ટોળાએ રોક્યા હતા અને અહીંથી નહીં જવા દઈએ તેમ કહી ગાળો આપી હતી અને પથ્થરમારો કર્યો હતો. જેના કારણે સરકારી ગાડીમાં જમણી બાજુની લાઈટ તૂટી ગઈ હતી અને 3,000નું નુકસાન પહોંચ્યું હતું. જેથી, પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી તમામને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરી છે. બેટી ગામ પાસે પ્રાઇવેટ બસના ચાલકે અચાનક બ્રેક મારતા ST બસ અથડાતા કાચ તૂટ્યોરાજકોટ-અમદાવાદ હાઈ-વે પર બેટી રામપરા ગામ તરફ જવાના રસ્તાની કટ પાસે કેશોદ ડેપોની એસટી બસ GJ 18 Z 8843 પહોંચતા આગળ જતી પ્રાઇવેટ બસ નંબર MP 44 ZE 9355ના ચાલકે અચાનક બ્રેક મારી હતી, જેના કારણે એસ.ટી. બસ પાછળથી અથડાઈ હતી અને બસના આગળના ભાગનો કાચ અને મોરાનો ભાગ તૂટી ગયો હતો. જેને લીધે રૂ.65,000નું નુકસાન પહોંચ્યું હતું. જ્યારે બસમાં બેસેલા પેસેન્જર રમીલાબેન ચાવડાને શરીરે મુંઢ ઇજા થઈ હતી. એસટી બસના ડ્રાઈવર અનિલ વાળાએ એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. કોર્ટના સજાના વોરંટમાં 2 મહિનાથી ફરાર મહિલા પકડાઈરાજકોટ કોર્ટના નેગોશિયેબલ એક્ટના ગુનામાં સજાના વોરંટના આરોપીને ભક્તિનગર પોલીસે ઝડપી પાડી છે. શહેરના હરીધવા રોડ ઉપર મોરારીનગર શેરી નંબર-2માંથી તૃપ્તિબેન પંડ્યાને પકડી પાડવામાં આવ્યા છે. આ મહિલા આરોપી વચગાળાના જામીન પરથી ફરાર હતી અને છેલ્લા બે મહિનાથી મળી આવતી ન હતી. જોકે, પોલીસને કોર્ટના સજાના વોરંટમાં ફરાર મહિલા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. દારૂના ગુનામાં સવા વર્ષથી નાસતો ફરતો આરોપી હવે ઝડપાયોરાજકોટ શહેર પોલીસ ઝોન-2ની ટીમ દ્વારા દારૂના ગુનામાં સવા વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા અને જેતપુર ઉદ્યોગ નગર પોલીસ મથકમાં દારૂના ગુનામાં ફરાર 24 વર્ષીય ફેનિલ ઉર્ફે લાલો મુકેશ દાફડાને ઝડપી પાડવામાં આવ્યો છે. જે કાલાવડ રોડ ઉપર આંબેડકર નગર શેરી નંબર-3માં રહે છે.
ઉત્તરાયણના તહેવારને હજુ થોડા દિવસોની વાર છે, પરંતુ તે પહેલા જ સુરતમાં પતંગની કાતિલ દોરીનો કહેર શરૂ થઈ ગયો છે. શહેરમાં વાહનચાલકોના ગળા કપાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં એક 45 વર્ષીય વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. લોહીલુહાણ હાલતમાં બ્રિજ પર જ પડી જતા રાહદારીઓ મદદે આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યો હતો. મજૂરાગેટ બ્રિજ પર અકસ્માત સર્જાયોપ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના અડાજણ ભક્તિધામ સોસાયટીમાં રહેતા પશુપતિસિંહ નામના 45 વર્ષીય વ્યક્તિ મજૂરાગેટ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. તે જ સમયે અચાનક પતંગની ઘાતક દોરી તેમના ગળા પર વાગી હતી, જેના કારણે તેમને ગંભીર ઈજા થઈ હતી. દોરી વાગતાં પશુપતિસિંહ લોહીલુહાણ હાલતમાં બ્રિજ પર જ પડી ગયા હતા. આ બનાવ બનતાં જ અન્ય વાહન ચાલકો અને રાહદારીઓનું ટોળું ઘટનાસ્થળે એકઠું થઈ ગયું હતું. રાહદારીઓએ યુવકને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડ્યો એક રાહદારી યુવકે જણાવ્યું હતું કે, આ વ્યક્તિ મજુરા ગેટના બ્રિજ પર ગળું કપાયેલી હાલતમાં હતા અને ઘણા બધા લોકોનું ટોળું તેમની આજુબાજુમાં જોવા મળ્યું હતું. અમને એવું લાગ્યું કે તેમને ગંભીર ઈજા થઈ છે અને પતંગની દોરીના કારણે તેમનું ગળું કપાયું હતું કે અમે તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા છીએ. પશુપતિસિંહને ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે અને હાલ તેમની સારવાર ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણના થોડા સમય પહેલા જ આવા કિસ્સાઓ સામે આવતા સ્થાનિકોમાં અને વાહનચાલકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા બ્રિજ પર અત્યારથી જ વાયડ લગાવીને લોકોના ગળા કપાતા અટકાવવામાં આવે તો નિર્દોષ લોકોના જીવ જોખમમાં ન મુકાય.
મધ્યપ્રદેશના કઠીવાડા ખાતે અલીરાજપુર રાજ પરિવારના રાણા દિગ્વિજયસિંહ દ્વારા IPL જેવી જ કઠીવાડા પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લીગમાં ખેલાડીઓને IPLની જેમ જ ઓક્શન દ્વારા ખરીદવામાં આવ્યા હતા.આ ટુર્નામેન્ટમાં કુલ ચાર ટીમો – રતનમહલ કાછલા, બાબજી ઉદેપુર, જોહાર ઇલેવન અને શિવભક્ત ઇલેવનએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ જોહાર ઇલેવન અને શિવભક્ત ઇલેવન વચ્ચે રમાઈ હતી. આ ફાઇનલ મુકાબલામાં શિવભક્ત ઇલેવને 61 રનથી વિજય મેળવ્યો હતો. શિવભક્ત ઇલેવન દ્વારા ગોધરા શહેરના ઓલરાઉન્ડર ખેલાડી સલીમ મલેકને પોતાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ગોધરાના યુવા ક્રિકેટર સલીમ મલેકે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ફાઇનલ મેચમાં 80 રન બનાવ્યા હતા અને ત્રણ વિકેટ પણ ઝડપી હતી. તેના આ ઓલરાઉન્ડ પ્રદર્શન બદલ તેને 'મેન ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો. સલીમ મલેકે પોતાની ટીમને જીતાડવાની સાથે ગોધરા શહેરનું ગૌરવ પણ વધાર્યું છે. અલીરાજપુરના SDPOના હસ્તે તેને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 12 કલાકમાં બે અંગદાન થયા છે. વધુ એક સફળ અંગદાન ઓડિશાના વતની પ્રધાન પરિવારે બ્રેઈનડેડ સ્વજનના અંગોનું દાન કરી માનવતા મહેકાવી છે. મૂળ ઓડિશાવાસી અંગદાતાનો પરિવાર ઓડિશા રહેતો હોવાથી નવી સિવિલની ટીમ, SOTTOના સભ્યો, ઓડિશા સમાજ પરિવારના સહકારથી બે દિવસના સતત પ્રયત્નો અને સમજણ બાદ આ પરિવારે પોતાના પ્રિયજનના અંગદાન માટે સહમતિ આપતા બે દિવસમાં કુલ છ દર્દીઓને નવા જીવનની આશા મળી છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બ્રેઈનડેડના મહત્તમ કિસ્સાઓમાં અંગદાન થઈ રહ્યા છે. ત્યારે આજે મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના બેગુનિયાપાડા ખલીકોટના આમ્બઝર નુઆપલ્લી સ્થિત રહેતા પ્રધાન પરિવારના ૩૯ વર્ષીય બ્રેઈનડેડ પંચુભાઈ કબિરાજના લીવર અને બે કિડનીના દાનથી જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. નવી સિવિલ હોસ્પિટલથી ૧૨ કલાકમાં બે અંગદાન સાથે આજે ૮૫મુ સફળ અંગદાન થયું છે. મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના બેગુનિયાપાડા ખલીકોટના આમ્બઝર નુઆપલ્લીના વતની અને હાલ કામરેજના પરબગામની શુભ સોસાયટીમાં રહેતા પંચુ પ્રધાન તા.૧૭મી નવેમ્બરના રોજ સવારે ૯.૦૦ વાગ્યે શરીર સંતુલન ગુમાવતા પડી ગયા હતા. સ્થાનિક જાગૃત નાગરિકે કંપનીમાં કામ કરતા સહકર્મચારી સોમનાથભાઈ કોલ કરીને જાણ કરી હતી. સોમનાથભાઇ ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ બોલાવી સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ સ્વાસ્થ્યમાં સુધાર ન જણાતા વધુ સારવાર અર્થે ૧૦૮માં સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યા તેમની ગંભીર હાલત હોવાથી ઈમરજન્સી વાર્ડમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર બાદ ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. તા.૨૧મી નવેમ્બરના રોજ બપોરે આર.એમ.ઓ ડો.કેતન નાયક, પ્લાસ્ટિક સર્જન ડો.નિલેશ કાછડીયા, ન્યુરોલોજિસ્ટ ડો.પ્રયાગ મકવાણા, ન્યુરોસર્જન ડો.કેયુર પ્રજાપતિએ પંચુને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. ત્યારબાદ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપદાદા દેશમુખના માર્ગદર્શન હેઠળ ઓડિશા સમાજના અગ્રણીઓનો સંપર્ક કરી કાઉન્સેલિંગ સાથે સમજણ આપવાનું નક્કી કરાયું હતું. વિશેષ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે મૃતકના પત્નીની સહમતિ લેવી જરૂરી હોય છે. બ્રેઈનડેડના પત્ની ઓડિશા ખાતે ૧૧ વર્ષીય દિકરી રૂપાલી અને ચાર મહિનાના દિકરા રોશન સાથે રહે છે. જેથી ડો.નિલેશ કાછડિયા, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, ડો.કેતન નાયક તથા ઓડિશા સમાજના અગ્રણી શ્રીકાંત રાઉતે સહિતના અગ્રણીઓએ બ્રેઈનડેડ પંચુભાઈના પત્ની અને ભાઈ સહિત પરિવાર સાથે સતત સંપર્કમાં રહીને અંગદાન બાબતે સમજણ આપી હતી. IEC–SOTTO ઓડિશાના પ્રતિનિધિ સુમને ઓડિશા સ્થિત નિવાસસ્થાને રહેતા પત્ની રજની પંચુ પ્રધાનને ઉડીયા ભાષામાં અંગદાનની સમજણ આપી તેની લેખિત અને વિડીયોગ્રાફી કરી સહમતિ મેળવી સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી હતી. અંગદાન પ્રક્રિયામાં જિલ્લા પોલીસનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતુ. જેના કારણે સંપૂર્ણ પ્રક્રિયા ઝડપથી અને સરળતાથી પૂર્ણ થઈ. ઓડિશા સરકાર દ્વારા પણ જરૂરી દસ્તાવેજો માટે સહયોગ મળ્યો હતો. નવી સિવિલના પ્રતિનિધિઓએ બે દિવસ સુધી પરિવાર સાથે કાઉન્સેલિંગ કર્યું. આ ૪૮ કલાકના પ્રયત્નો બાદ પરિવાર સાથે ડો.નિલેશ કાછડિયા, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા અને ઓડિશા સમાજના અગ્રણી શ્રીકાંત રાઉતના પ્રયત્નોથી અંગદાન માટે તૈયાર થયો અને સમંતિ આપતા અંગદાન બાદ લીવર, બે કિડની અમદાવાદની IKDRC હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આમ, માત્ર ૧૨ કલાકમાં બીજું સફળ અંગદાન થવાથી કુલ ૬ દર્દીઓને નવજીવન મળશે. નોંધનીય છે કે, ૧૨ કલાકના સમયગાળામાં બે અંગદાનમાં મહારાષ્ટ્રના થાણે જિલ્લાના માહિમના પાટીલ પરિવાર દ્વારા પણ સ્વજન ૨૮ વર્ષીય બ્રેઈનડેડ સ્વજન અક્ષય વિલાસ પાટીલના લીવર, બે કિડનીના દાન બાદ આજે પંચુ પ્રધાનનું ૮૫મુ અંગદાન થયું છે. સુરત નવી સિવિલ હોસ્પિટલની ટીમ, SOTTOના સભ્યો, ઓડિશા સમાજ પરિવારના ટીમવર્ક અને પરસ્પર સહકારને કારણે વધુ ત્રણ પરિવારોમાં નવી રોશની ફેલાઈ છે.
આજના મોંઘાદાટ અને ખર્ચાળ લગ્ન સમારંભો ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે આર્થિક બોજરૂપ બન્યા છે, ત્યારે સુરતની SVG સંસ્થા અને યુવક મંડળ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવ ગરીબ દીકરીઓના પિતા માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ બન્યો છે. આ સુંદર આયોજન દ્વારા સમાજને દેખાદેખીથી દૂર રહીને સાદગીપૂર્ણ લગ્ન જીવન શરૂ કરવા માટેની પ્રેરણા મળી છે. SVG સંસ્થા અને યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં કુલ ૨૫ નવદંપતિઓએ પવિત્ર પ્રભુતામાં પગલાં પાડીને પોતાના નવા દાંપત્ય જીવનનો પ્રારંભ કર્યો હતો. તમામ નવદંપતિઓને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવિ આચાર્ય નૂગેન્દ્ર પ્રસાદ મહારાજશ્રીએ રૂબરૂ ઉપસ્થિત રહીને આશીર્વાદ આપ્યા હતા, જેનાથી આ ઉત્સવની ગરિમામાં વધારો થયો હતો. મહારાજશ્રીએ પોતાના 'બાઇટ'માં પણ આ ઉત્તમ સેવાકાર્યની નોંધ લીધી હતી. આ પહેલનો મુખ્ય હેતુ લગ્નમાં થતા બિનજરૂરી ખર્ચાઓને અટકાવવાનો અને ગરીબ દીકરીઓના પિતાને આર્થિક ભારણમાંથી મુક્તિ અપાવવાનો છે. સંસ્થાના આ પ્રયાસથી એક સાથે અનેક પરિવારોના માથેથી મોંઘાદાટ લગ્નના ખર્ચનો બોજ હળવો થયો છે. સમૂહ લગ્નથી ગરીબ દીકરીઓના પિતાને આર્થિક ભારણમાંથી મુક્તિ મળે છે અને સાદગીપૂર્ણ લગ્ન સમાજ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે. સંસ્થા દ્વારા 25 નવદંપતિઓને તેમના ગૃહસ્થ જીવનની શરૂઆત માટે ઉપયોગી થાય તેવો સુંદર કરિયાવર પણ ભેટમાં આપવામાં આવ્યો હતો. આ ઉત્તમ સેવાકાર્યનો લાભ માત્ર ૨૫ પરિવારોને જ નહીં, પરંતુ લગ્ન પ્રસંગ સાથે સંકળાયેલા ૧૫૦થી વધુ પરિવારોને મળ્યો છે. આ સેવાકાર્ય સાચી સામાજિક સેવા બની રહે અને સમાજમાં દેખાદેખીને બદલે સાદગીપૂર્ણ લગ્નની પ્રેરણા આપે તેવા ઉદ્દેશ્ય સાથે મોટી સંખ્યામાં લોકો આ સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતિઓને આશીર્વાદ આપ્યા હતા.
વલસાડ જિલ્લામાં SIR-2026 અને ડિજિટલ મતદાર નોંધણીની કામગીરીમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી રહી છે. જિલ્લાના કુલ 13,85,807 મતદારોમાંથી 7,07,955 મતદારોની ડિજિટલ નોંધણી પૂર્ણ થઈ ગઈ છે, જે કુલ કામગીરીના 52 ટકા જેટલી છે. આ કામગીરીમાં 4 BLO (બૂથ લેવલ ઓફિસર) દ્વારા 100 ટકા નોંધણી પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી તંત્રએ મતદારોને યોગ્ય ફોટા સાથે ફોર્મ ભરવા, સંપૂર્ણ વિગતો આપવા અને ઘર-ઘર મુલાકાત દરમિયાન BLOને સહકાર આપવા અપીલ કરી છે. વર્ષ 2002ની મતદાર યાદીના આધારે SIR પ્રક્રિયા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે. ચૂંટણી તંત્ર દ્વારા જણાવાયું છે કે ડિજિટલ મતદાર યાદી માટેના આવશ્યક ફોર્મ ભરવાની અંતિમ તારીખ 4 ડિસેમ્બર છે. આ સમયમર્યાદા સુધીમાં ફોર્મ ન ભરનાર મતદારોના નામ યાદીમાંથી કાઢવાની કાર્યવાહી કરવામાં આવશે. અંતિમ મતદાર યાદી 7 ફેબ્રુઆરી, 2026ના રોજ જાહેર કરાશે. જિલ્લામાં 15-16 અને 22-23 નવેમ્બર, 2025ના રોજ ખાસ દિવસો તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. આ વિશેષ અભિયાનને કારણે મતદાર નોંધણીમાં નોંધપાત્ર વધારો થયો છે. જિલ્લા ચૂંટણી તંત્રના મતે, સ્થાનિક અગ્રણીઓના સહકારથી BLOની કામગીરી વધુ સરળ બની છે. જો 2024ની મતદાર યાદીમાં મતદાર અથવા તેમના પરિવારના સભ્યોનું નામ નોંધાયેલું હતું, તો BLO દ્વારા મુલાકાત લઈને વિગતો યથાવત્ રાખવામાં આવશે. જો કોઈનું નામ ગાયબ હોય, તો મતદારો voters.eci.gov.in અથવા chunavsetu-search.gujarat.gov.in વેબસાઇટ્સ દ્વારા ઓનલાઈન નામ ચકાસી શકે છે. જન્મ તારીખ 01-01-1988 થી 02-12-2007 વચ્ચે હોય અને સરનામું બદલાયું હોય તેવા કિસ્સામાં એક જ પુરાવો પૂરતો રહેશે. જોકે, 02-12-2007 પછી જન્મેલા મતદારો માટે માતા-પિતાના દસ્તાવેજો ફરજિયાત રહેશે.મતદાર ઓળખ માટે આધાર કાર્ડ, પાસબુક, ડ્રાઈવિંગ લાઈસન્સ અને રેશન કાર્ડ સહિતના વિવિધ દસ્તાવેજો માન્ય ગણાશે. નવી માર્ગદર્શિકા 02-08-2024થી અમલમાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદારોને સમયસર તેમની માહિતી ચકાસીને જરૂરી સુધારા કરાવવા અપીલ કરી છે. SIR-2026 માટેના મહત્વપૂર્ણ કાર્યક્રમની જાહેરાત પણ કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત સમયપત્રક મુજબ: ગણતરી સમયગાળો: 01-11-2025 થી 04-12-2025, ડ્રાફ્ટ યાદીનું પ્રકાશન: 05-12-2025, દાવા-આપત્તિઓ માટેનો સમયગાળો: 05-12-2025 થી 02-01-2026, નોટિસ તબક્કો: 03-01-2026 થી 31-01-2026, અંતિમ યાદીનું પ્રકાશન: 05-02-2026.જિલ્લા ચૂંટણી તંત્રએ તમામ મતદારોને સજાગ રહીને જરૂરી વિગતો સમયસર પૂરી પાડવા અનુરોધ કર્યો છે. જિલ્લામાં SIR–2026 અંતર્ગત નવી કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચ મુજબ : ગણતરી સમયગાળો : 01-11-2025 થી 04-12-2025ડ્રાફ્ટ યાદીનું પ્રકાશન : 05-12-2025દાવા–આપત્તિ : 05-12-2025 થી 02-01-2026નોટિસ તબક્કો : 03-01-2026 થી 31-01-2026અંતિમ યાદી : 05-02-2026જિલ્લા ચૂંટણી તંત્રએ મતદારોને સજાગ રહી જરૂરી વિગતો સમયસર પૂરું પાડવા અનુરોધ કર્યો છે.
વડોદરા મહાનગરપાલિકાએ શહેરના ટ્રાફિક વ્યવસ્થાપનમાં મોટો ફેરફાર કરતાં મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા કુલ 70 જંક્શન પરના ટ્રાફિક સિગ્નલને હવે 24 કલાક કાર્યરત કરી દીધા છે. આ નિર્ણય વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની સૂચનાથી લેવામાં આવ્યો છે. 24 કલાક સિગ્નલ ચાલુ રાખવાથી નાગરિકોને સલામત મુસાફરીની સુવિધા મળશેઅત્યાર સુધી રાત્રે ટ્રાફિક સિગ્નલ બંધ રહેતાં જંક્શનો પર વાહનચાલકો મનસ્વી રીતે વાહન ચલાવતા હોવાથી રાત્રીના સમયે ગંભીર અકસ્માતો તેમજ ટ્રાફિકજામની સમસ્યા વકરી રહી હતી. આની સીધી અસર ઇંધણનો વ્યય વધવા તેમજ વાયુ પ્રદૂષણમાં વધારો થવા જેવી બની હતી. 24 કલાક સિગ્નલ ચાલુ રાખવાથી આ તમામ સમસ્યાઓ પર અસરકારક નિયંત્રણ આવશે અને નાગરિકોને સલામત મુસાફરીની સુવિધા મળશે. આ નિર્ણયથી વડોદરાવાસીઓને રાહતઆ ઉપરાંત, ટ્રાફિકના ભારણવાળા વધારાના અંદાજે 10 મહત્વના જંક્શનો પર નવીન ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ સ્થાપવાનું આયોજન પણ મહાનગરપાલિકાએ તૈયાર કર્યું છે. આ નવા સિગ્નલ વૈજ્ઞાનિક પદ્ધતિથી નિયંત્રિત થશે, જેથી વાહનોને બિનજરૂરી રીતે ઊભા રહેવું ન પડે અને વાયુ પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે. આ યોજના હેઠળ કામગીરી ટૂંક સમયમાં જ શરૂ કરી દેવામાં આવશે. શહેરને વધુ આધુનિક, સ્માર્ટ અને સલામત બનાવવાના હેતુથી લેવાયેલા આ નિર્ણયથી વડોદરાવાસીઓને રાત-દિવસ સુવ્યવસ્થિત અને ઝડપી ટ્રાફિકનો લાભ મળશે.
વલસાડ જિલ્લાના વાપીમાં ડુંગરા પોલીસે કરમખલ વિસ્તારમાં આવેલી એક વાડીના મકાનમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી લીધો છે. પોલીસે મુખ્ય આરોપી સહિત ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે અને ચોરીનો મોટાભાગનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આ ચોરી 15 નવેમ્બરથી 16 નવેમ્બર, 2025 દરમિયાન થઈ હતી. અજાણ્યા ચોરોએ વાડીના મકાનનું તાળું તોડી LG કંપનીનું ટીવી (રૂ. 10,000), MI કંપનીનું ટીવી (રૂ. 13,000), RR કંપનીનો 90 મીટર વાયર (રૂ. 2,200) અને આશરે 60 ફૂટ કેબલ (રૂ. 3,200) સહિત કુલ રૂ. 28,400ની મત્તાની ચોરી કરી હતી. આ બનાવ અંગે ડુંગરા પોલીસ મથકે BNSની કલમ 331(2), 331(4) અને 305(એ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વલસાડ SP યુવરાજસિંહ જાડેજા અને વાપી DySP બી.એન. દવેના માર્ગદર્શન હેઠળ PI એસ.પી. ગોહિલે વિશેષ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન, હેડ કોન્સ્ટેબલ ભરતભાઈને મળેલી બાતમીના આધારે પોલીસે મુખ્ય આરોપી ચંદ્રશેખર લાલબહાદુર પટેલ (ઉંમર 19) અને કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ કિશોરોને લવાછા વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ચોરાયેલા બંને ટીવી સહિત કુલ રૂ. 23,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકાર સામે શૈક્ષિક સંઘે દિલ્હીમાં આંદોલનની જાહેરાત કરી છે. ટેટ પરીક્ષા અને જૂની પેન્શન યોજનાને લઈને શિક્ષકો દિલ્હીમાં ધરણા કરવાના છે. દિલ્હીમાં જંતર મંતર સામે ધરણા પ્રદર્શન કરીને શિક્ષકો સરકાર પાસે 2005 પછીના શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ મળે તે માટેની માંગ કરવાના છે. જેના માટે તમામ રાજ્યમાંથી શિક્ષકો દિલ્હીમાં જંતર મંતર ખાતે ભેગા થઈને વિરોધ નોંધાવશે. તેમજ ગુજરાતમાંથી પણ બે હજાર જેટલા શિક્ષકો દિલ્હી જંતર મંતર ખાતે ધરણા કરવાના છે. જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગસપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં રાજ્યભરમાં શિક્ષકોએ જિલ્લા કક્ષાએ અનેક વખત આવેદન આપ્યા હતા. જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે તેવી સરકાર પાસે અનેક વખત માંગ કરવામાં આવી હતી. પરંતુ સરકારે માંગણીઓ ના સ્વીકારતા હવે સરકાર સામે બાયો ચડાવી દીધી છે. ગુજરાતમાં કાર્યક્રમ યોજ્યા બાદ હવે શિક્ષકો દિલ્હીમાં ધામા નાખશે. કેન્દ્ર સરકાર સુધી પોતાનો અવાજ અને રજૂઆત પહોચાડવા માટે મોટી સંખ્યામાં શિક્ષકો જંતર મંતર પર ધરણા પ્રદર્શન કરવાના છે. રાષ્ટ્ર વ્યાપી આંદોલનમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સહિત રાજ્યમાં તમામ શૈક્ષિક સંઘ પણ જોડાવાના છે. 2010 પહેલાના તમામ શિક્ષકો માટે ટેટ પાસ કરવી ફરજિયાત કરાતા વિરોધટેટ પરીક્ષા પર સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. તેમાં 2010 પહેલા નિમણૂક પામેલા શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવી હતી જે સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે. જેના કારણે 2010 પહેલાના તમામ શિક્ષકોને ટેટ પાસ કરવાની ફરજ પડશે. તેમજ તેમને પગાર ધોરણ પણ મળશે નહીં. જેને લઈને આવતીકાલે શિક્ષકો જંતર મંતર ધરણા પ્રદર્શન કરી વિરોધ દર્શાવશે.
પાટણમાં હરીઓમ ગૌ શાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે 1 થી 7 ડિસેમ્બર દરમિયાન શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાના વક્તા સુપ્રસિદ્ધ કથાકાર રમેશભાઈ ઓઝા રહેશે. પાટણના અનાવાડા સ્થિત હરીઓમ ગૌ શાળાના વિશાળ સંકુલમાં 15,000 શ્રોતાઓ માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કથાનો શુભારંભ 51 વાલ્મિકી સમાજની દીકરીઓના પગલાં પાડીને કરવામાં આવશે. આયોજકો દ્વારા શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પાટણના જીમખાનાથી કથા સ્થળ સુધી પહોંચવા માટે વિનામૂલ્યે વાહનોની સુવિધા ઉપલબ્ધ રહેશે. દરરોજ 50,000 ભાવિકો માટે શુદ્ધ ગાયના ઘીમાંથી બનેલા સ્વાદિષ્ટ ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. કથાના શુભારંભ પૂર્વે 29 નવેમ્બર, શનિવારના રોજ ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરાયું છે. મુખ્ય દાતાઓના નિવાસસ્થાને પોથી પૂજન બાદ, પાટણ રેલવે સ્ટેશનથી બપોરે 1:00 કલાકે હાથીની અંબાડી પર મુખ્ય પોથી સાથે યાત્રા પ્રસ્થાન કરશે. આ યાત્રા વાજતે ગાજતે અનાવાડા કથા સ્થળે પહોંચશે. યાત્રાના માર્ગમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણી, એનર્જી ડ્રિંક અને પ્રસાદના વિતરણ માટે સેવા કેમ્પો ગોઠવવામાં આવશે. આ પોથીયાત્રામાં મુખ્ય પોથી ઉપરાંત 108 પોથી યજમાન પરિવારો પણ જોડાશે. 108 કળશધારી બાલિકાઓ અને 1008 તુલસીના છોડ સાથે બહેનો પણ યાત્રામાં સહભાગી થશે. વિવિધ શૈક્ષણિક, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના ટેબ્લો પણ આ યાત્રામાં જોડાશે. આ ઉપરાંત, અનેક સંતો-મહંતો બગી ગાડીમાં બિરાજમાન થઈ ભાવિક ભક્તોને દર્શનનો લાભ આપશે. આયોજકોએ પાટણ શહેર અને જિલ્લાના ધર્મપ્રેમી જનતાને મોટી સંખ્યામાં જોડાવા માટે જાહેર આમંત્રણ પાઠવ્યું છે. આ પ્રસંગે હવામાં ઉડતું સુદર્શન ચક્ર યાત્રા ઉપર પુષ્પવૃષ્ટિ કરીને વાતાવરણને ખુબ જ પ્રભાવીત કરશે તે ઉપરાંત સમગ્ર ભારતમાં કદાચ સૌથી પહેલા ગૌશાળાની પૂણ્ય ભૂમિ ઉપર સુરભી ગૌ મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એમ કહેવાય છે કે, આવો સુરભી યજ્ઞ દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ આશરે 5500 વર્ષ પૂર્વે દ્વારીકા નગરીમાં કર્યો હતો. આમ, અણહિલવાડ પાટણના સરસ્વતીના કિનારે આ જ્ઞાનયજ્ઞની અંદર આ સુરભી ગૌ મહાયજ્ઞનું એક વિશેષ મહત્ત્વ છે અને 5500 વર્ષ પછી સૌ પ્રથમ આ મહાયજ્ઞ પાટણના આંગણે યોજાવવાનો છે
ગોધરામાં ભુરા મોટર્સ માલિક સામે વિશ્વાસઘાતનો ગુનો:પીકઅપ ગાડી સર્વિસના બહાને ચોરીની ફરિયાદ
ગોધરાના બહારપુરા સ્મશાન રોડ પર રહેતા મુકેશભાઈ મંગળભાઈ ચૌહાણે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે ગોધરા-વડોદરા હાઈવે પર આવેલા ગોન્દ્રા ખાતેની ભુરા મોટર્સના માલિક મોહમ્મદ વસીમ કંસારા ઉર્ફે ભુરિયા વિરુદ્ધ વિશ્વાસઘાત અને વાહન ચોરીનો આરોપ લગાવ્યો છે. ફરિયાદી મુકેશભાઈ ચૌહાણના જણાવ્યા અનુસાર, 10 ડિસેમ્બર, 2023ના રોજ સવારે દસ વાગ્યાની આસપાસ તેઓ પોતાની પીકઅપ ગાડી (રજી. નં. GJ.17.TT.8547) સર્વિસ કરાવવા માટે ભુરા મોટર્સ પર ગયા હતા. ત્યાં મોહમ્મદ વસીમ કંસારાએ તેમને ગાડી ત્યાં મૂકીને બે દિવસ પછી આવવાનું કહ્યું હતું. બે દિવસ પછી જ્યારે મુકેશભાઈ ગાડી લેવા ગયા, ત્યારે તેમને કહેવામાં આવ્યું કે એન્જિનમાં ખામી છે અને તેને ફરીથી ખોલવું પડશે. ત્યારબાદ ડીઝલ લાવવાનું કહેતા મુકેશભાઈ ડીઝલ લઈને ગયા, પરંતુ ગાડી ચાલુ થઈ નહીં. મોહમ્મદ વસીમ કંસારાએ ગાડીના સ્પેરપાર્ટ્સ બહારથી મંગાવવા પડશે તેમ કહી ₹35,000ની માંગણી કરી હતી, જે મુકેશભાઈએ ચૂકવી દીધા હતા. પૈસા આપ્યા પછી પણ ગાડીનું કામ થયું ન હતું. મુકેશભાઈએ વારંવાર ફોન કરીને અને રૂબરૂ જઈને પૂછપરછ કરી, ત્યારે દર વખતે સ્પેરપાર્ટ્સ આવ્યા નથી અથવા ડીઝલ લઈને આવો તેવા બહાના બનાવવામાં આવતા હતા. આશરે એક વર્ષ પછી મુકેશભાઈને મોહમ્મદ વસીમ કંસારા રસ્તામાં મળ્યા ત્યારે તેમણે ગાડી પરત આપવા કહ્યું, પરંતુ ફરીથી બહાના બનાવવામાં આવ્યા. આશરે બે વર્ષ પછી જ્યારે મુકેશભાઈએ ફરીથી પોતાની ગાડી વિશે પૂછ્યું, ત્યારે મોહમ્મદ વસીમ કંસારાએ જણાવ્યું કે તેમની ગાડી ત્યાં નથી અને તે ચોરાઈ ગઈ છે. આમ, ₹35,000 લીધા પછી પણ ગાડી પરત ન આપીને અને ગાડી ચોરાઈ ગઈ હોવાનું કહીને મોહમ્મદ વસીમ કંસારાએ વિશ્વાસઘાત કર્યો હોવાનો આરોપ મુકેશભાઈએ લગાવ્યો છે. ગોધરા બી ડિવિઝન પોલીસે ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
નવસારીના ઉંડાચ ગામેથી ચોરાયેલું આશરે 800 વર્ષ જૂનું શિવલિંગ મળી આવ્યું છે. નીલકંઠ મહાદેવ મંદિર પરિસરમાં પીપળાના ઝાડ નીચે સ્થાપિત આ શિવલિંગની ચોરી થઈ હતી. શુક્રવારે મોડી રાત્રે બીલીમોરાના એક યુવાન ડિપ્રેશનમાં હોવાથી શિવલિંગ પોતાની સાથે લઈ ગયો હતો. શનિવારે સવારે શિવલિંગ ચોરાયાની વાત પ્રસરતા યુવાનના પરિવારે ગ્રામજનોની માફી માંગી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા યુવાનની માનસિક સ્થિતિ જાણ્યા બાદ પોલીસ ફરિયાદ કરવાનું ટાળવામાં આવ્યું હતું. યુવાને શિવલિંગને પોતાના ઘરના મંદિરમાં મૂકી પૂજા કરી હતી. ગ્રામજનોએ પરિવારની વિનંતીને માન્ય રાખી યુવાનને માફ કર્યો છે. હવે નીલકંઠ મહાદેવ મંદિર પરિસરમાં પીપળાના ઝાડ નીચે ફરી શિવલિંગની વિધિવત સ્થાપના કરવામાં આવશે. સોમવારે ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે ભગવાન મહાદેવના શિવલિંગની સ્થાપના કરશે.
સાદિક ઉર્ફે બચી ભીસ્તી PASA હેઠળ ઝડપાયો:ગોધરા પોલીસે લીલેસરા ચોકડી પાસેથી ધરપકડ કરી
ગોધરા બી ડિવિઝન પોલીસે પાસા હેઠળ વોન્ટેડ આરોપી સાદિક ઉર્ફે બચી મોહમંદ હનીફ ભીસ્તીને લીલેસરા ચોકડી પાસેથી ઝડપી પાડ્યો છે. આ આરોપી ઘરફોડ ચોરીઓ, મંદિરો, સરકારી શાળાઓ, દુકાનો તેમજ સરકારી-ખાનગી આવાસોમાં તોડફોડ અને ચોરીની ઘટનાઓમાં સંડોવાયેલો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી આવી ગુનાહિત પ્રવૃત્તિઓ વધી હતી. થોડા સમય પહેલા ભામૈયા ગામના શિવમંદિરમાંથી થયેલી ચોરીનો ગુનો પણ ચર્ચામાં રહ્યો હતો. આ તમામ ગુનાઓમાં સંડોવાયેલા અને જાહેર સ્થળોના દરવાજા તથા તાળા તોડી ચોરી કરવાની ટેવ ધરાવતા સાદિક ભીસ્તી વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી મંજૂર કરવામાં આવી હતી. ડિ-સ્ટાફના એએસઆઇ અરવિંદભાઈ સડીયાભાઈ બર્મન તથા હેડકોન્સ્ટેબલ કમલેશકુમાર ગોપાલસિંહને ગુપ્ત બાતમી મળી હતી કે આરોપી ગોધરાની લીલેસરા ચોકડી પાસે જોવા મળ્યો છે. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આરોપીને ઝડપી પાડ્યો હતો. અવારનવાર ચોરીઓ તથા તોડફોડના ગુનાઓ કરતી વૃત્તિને કારણે તેના વિરુદ્ધ મંજૂર થયેલ પાસા પ્રમાણે કાયદેસરની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગોધરા બી ડિવિઝન પોલીસની આ કામગીરીએ વિસ્તારમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવાની દિશામાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. નંદાપુરા બ્રિજ પાસે અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકનું મોતઅન્ય એક ઘટનામાં, ગોધરા તાલુકાના નંદાપુરા બ્રિજ પાસે અજાણ્યા વાહનની અડફેટે મોપેડ ચાલકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. દાહોદ જિલ્લાના ઝરીખુર્દ ગામે રહેતા 28 વર્ષીય પ્રવિણસિંહ ફતેસિંહ પરમારનું આ અકસ્માતમાં મોત થયું છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગત તા 21 નવેમ્બરના રોજ પ્રવિણસિંહ પોતાનું મોપેડ વાહન લઈને દાહોદથી ગોધરા તરફ આવી રહ્યા હતા. ગોધરા તાલુકાના નંદાપુરા ઓવરબ્રિજ નજીક પ્રવિણ પરમારે પોતાનું વાહન પૂરઝડપે હંકારતા કાબુ ગુમાવી દીધો હતો, જે બાદ મોપેડ આગળ જઈ રહેલા અજાણ્યા વાહન પાછળ ધડાકાભેર અથડાયું હતું. આ અકસ્માતમાં પ્રવીણ પરમારને ગંભીર ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મૃત્યુ થયું હતું. દાહોદ જિલ્લાના ગોપાલભાઈ મંગળાભાઈ પરમારે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે અકસ્માતની વધુ તપાસ હાથ ધરી છે. ગઢ ચુંદડી ગામે એક મહિલા પર હુમલોગોધરા તાલુકાના ગઢ ચુંદડી ગામે એક મહિલા પર હુમલો થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. વહુના પિયર પક્ષના ચાર લોકોએ ઘરમાં ઘુસીને મારપીટ કરી અને ધમકીઓ આપી હોવાનો આક્ષેપ છે. ગઢ ચુંદડી ગામમાં રહેતા લીલાબેન શનાભાઈ પટેલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, લીલાબેનના નાના પુત્ર રાજુભાઈએ છ મહિના પહેલા ડાંગરીયા ગામની ક્રિષ્નાબેન રાજેન્દ્રભાઈ બારીઆ સાથે કોર્ટ મેરેજ કર્યું હતું. લગ્ન બાદ દંપતી ક્યાં રહે છે તે અંગે બંને પરિવારોને માહિતી નથી. ગત 11 નવેમ્બરના રોજ રાત્રે લીલાબેન ઘરમાં એકલી હતી ત્યારે તેમની વહુના પિયર પક્ષના રાજેન્દ્રભાઈ મોહનભાઈ બારીઆ, તેમના પુત્ર નિપુલભાઈ, પત્ની સુશીલાબેન અને ભાભી સપનાબેન ઘર બહાર અપશબ્દો બોલવા લાગ્યા હતા. બાદમાં રાજેન્દ્રભાઈએ ઘરમાં ઘુસીને દીકરા રાજુભાઈ તથા પોતાની દીકરી ક્રિષ્ના ક્યાં છે તે અંગે ઉશ્કેરાયેલી ભાષામાં પૂછપરછ કરી હતી. લીલાબેન દ્વારા મને જાણ નથી કહેતાં જ રાજેન્દ્રભાઈએ તેમને ગડદાપાટાનો માર મારી વાળ પકડી બહાર ઘસેડી લાવ્યા હતા. આ દરમિયાન નિપુલભાઈ ઘરની છત પર ચઢીને નળીયા નીચે ફેંકવા લાગ્યા હતા, જ્યારે સુશીલાબેન અને સપનાબેને ઘરના આંગણામાં પડેલા ડાંગરના પુળા ઘરમાં ફેંકીને તમારું ઘર સળગાવી દઈશું તેવી ધમકીઓ આપી હતી. લીલાબેનની બૂમાબૂમ સાંભળી પાડોશી કમલેશભાઈ મનુભાઈ, અંબાબેન મનુભાઈ, પનાબેન કિરીટભાઈ તેમજ ગામ આગેવાન મનોજભાઈ જસવંતભાઈ પટેલ દોડી આવ્યા હતા અને તેમને વધુ મારથી બચાવ્યા હતા. હુમલા બાદ લીલાબેનને ઈજાઓ થતાં તેમના જમાઈ મૌલીકભાઈએ તેમને ચંચેલાવ ગામે સારવાર માટે લઈ ગયા હતા. આરોપીઓ અને ફરિયાદી એક જ સમાજના હોવાને કારણે સમાજ આગેવાનો દ્વારા સમાધાનની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ આરોપીઓ સમાધાન માટે તૈયાર ન થયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. લીલાબેનનો આક્ષેપ છે કે આરોપીઓ લાંબા સમયથી તમારો દીકરો હાથમાં મળે તો મારી નાખીશું તેવી ધમકીઓ આપતા હતા. લીલાબેન અને તેમના પતિ શનાભાઈ પટેલે આરોપીઓ રાજેન્દ્રભાઈ મોહનભાઈ બારીઆ, નિપુલભાઈ રાજેન્દ્રભાઈ બારીઆ, સુશીલાબેન રાજેન્દ્રભાઈ અને સપનાબેન નિપુલભાઈ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી માટે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે.
નવસારી SOG ટીમે આર્મી જવાનની ખોટી ઓળખ ઊભી કરીને હથિયારનો પરવાનો મેળવનાર એક શખ્સને ઝડપી પાડ્યો હતો. ખેરગામના ઘેજ ગામેથી પકડાયેલા આરોપી ઘનશ્યામ સોલંકી પાસેથી એક લોડેડ રિવોલ્વર, જીવતા કારતૂસ અને આર્મીના નકલી ઓળખપત્રો કબજે કરવામાં આવ્યા છે. આરોપીની પત્ની સરસ્વતી સોલંકી નવસારી જિલ્લા ભાજપના મહિલા મોરચામાં ઉપપ્રમુખ છે. આ ઘટનાથી જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી ઘનશ્યામ સોલંકીએ ફતેગઢના 15 રાજપૂત રેજીમેન્ટનું નકલી આઈકાર્ડ બનાવ્યું હતું. તેણે આર્મીના બોગસ દસ્તાવેજો ઊભા કરીને કમાન્ડિંગ ઓફિસરની ખોટી સહી અને સિક્કાનો ઉપયોગ કર્યો હતો. આ નકલી દસ્તાવેજોના આધારે તેણે જમ્મુ-કાશ્મીરના ડોડા કલેક્ટરમાં અરજી કરીને હથિયારનું લાયસન્સ મેળવ્યું હતું. લાયસન્સ મળ્યા બાદ, ઘનશ્યામ સોલંકીએ કાનપુરથી ₹65,000માં રિવોલ્વરની ખરીદી કરી હતી. આ સમગ્ર મામલે ખેરગામ પોલીસ મથકમાં આમ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે ગંભીર ગુનાની તપાસ શરૂ કરી છે. કેસ અંગે PSI એમ.ડી. ગામીતે આ વિગતો આપી હતી. પોલીસ તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે, વર્ષો અગાઉ વાપી ખાતે ઇન્ડસઇન્ડ બેંકમાં કામ કરતા ઠાકોર નામના એક શખ્સે ઘનશ્યામ સોલંકીને બનાવટી દસ્તાવેજો અને હથિયાર મેળવવામાં મદદ કરી હતી. ઠાકોર નામનો આ શખ્સ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. પોલીસે તેને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ શરૂ કરી છે અને તેની પાસે પણ ગેરકાયદેસર બંદૂક છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. વર્ષ 2008માં ઘનશ્યામ સોલંકીએ નવસારી કલેક્ટર કચેરીમાં બંદૂક મેળવવા માટે અરજી કરી હતી, પરંતુ નિયત દસ્તાવેજો જમા ન કરી શકવાને કારણે તેની અરજી રદ થઈ હતી. ત્યારબાદ તેણે વાપીના શખ્સની મદદથી બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને નકલી આર્મી કર્મચારીની ઓળખ ઊભી કરી હતી. પોલીસને માહિતી મળી છે કે તે વર્ષ 2012-13થી આ લાયસન્સ ધરાવે છે અને તેને નિયત સમયે રિન્યુ પણ કરાવતો હતો. ખેરગામ પોલીસની એક ટીમ જમ્મુ કાશ્મીર જશેઆ કેસની વિગતવાર માહિતી મેળવવા માટે ખેરગામ પોલીસની એક ટીમ જમ્મુ કાશ્મીર ખાતે જઈને આરોપીએ બનાવેલા ડોક્યુમેન્ટ અંગેની ખરાઈ કરશે.મહત્વનું એ છે કે ભારતનું ડિફેન્સ સિસ્ટમ મજબૂત વહીવટી ક્ષમતા ધરાવે છે તેમ છતાં પણ ઘનશ્યામ સોલંકી જેવા આરોપીએ કઈ રીતે ડુબલીકેટ દસ્તાવેજો વડે હથિયારનું લાયસન્સ મેળવ્યું તે એક મોટું રહસ્ય અને ચોકાવનારી બાબત છે. આર્મી સિપાહીનું ખોટા દસ્તાવેજો ઊભા કરી બંદૂકનું લાયસન્સ મેળવનાર આરોપી પાસેથી વધુ વિગત મેળવવા માટે પોલીસે કોર્ટ પાસેથી રિમાન્ડની માંગણી કરી હતી પરંતુ કોર્ટે રિમાન્ડ નકારી આરોપીને જેલ હવાલે કર્યો છે. નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ અને એસ.ઓ.જી. પી.આઈ. પી.એ.આર્યના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન એ.એસ.આઈ. નઈમખાન પઠાણ અને પો.કો. ધીરજભાઈ રત્નાભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે 11 ઓક્ટોબર, 2025ના રોજ આરોપીના ઘેજ ગામ સ્થિત ઘરે રેડ કરવામાં આવી હતી. ગામમાં એક શખ્સ સાથે ઘનશ્યામ સોલંકીને માથાકૂટ થઈ હતી જેના આધારે તે શખ્સ દ્વારા પોલીસને ઘનશ્યામ સોલંકી પાસે ગેરકાયદેસર હથિયાર હોવાની માહિતી આપી હતી જેના આધારે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
વડોદરા જિલ્લા પોલીસ દ્વારા 100 કલાકની સ્પેશ્યલ કોમ્બીંગ ડ્રાઇવ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ દરમિયાન 550થી વધુ આરોપીઓને શોધવામાં આવ્યા છે અને 150થી વધુ આરોપીઓના ડોઝીયર્સ તૈયાર કરવામાં આવ્યા છે. રાજ્ય પોલીસ વડા દ્વારા તા.17/11/2025ના રોજ ગુજરાત રાજયમાં છેલ્લા ૩૦ વર્ષમાં (1) હથિયાર ધારા (2) એન.ડી.પી.એસ. એકટ (3) એકસપ્લોઝીવ એકટ (4) બનાવટી ચલણી નોટો (5) ટાડા પોટા તથા મકોકા તેમજ યુ.એ.પી.એ. (6) પેટ્રોલીયમ ધારા જેવા વિવિધ કાયદાના ગુનાઓમાં પકડાયેલા આરોપીઓને શોધી તેમની હાલની પ્રવૃતિઓની ચકાસણી કરીને ડોઝીયર્સ તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી. આરોપીઓની વિવિધ માહીતી જેવી કે, તેમના પરિવારની, મિત્રોની, સગા સબંધીઓની, મિલ્કતોની, સંપર્કોની માહીતી એકઠી કરી ડોઝીયર્સ ફોર્મ તૈયાર કરવા સુચના આપી હતી, જેના આધારે વડોદરા રેન્જ આઈજી સંદિપસિંહે વડોદરા જીલ્લામાં 100 કલાકની સમય મર્યાદાની અંદર ઉપરોકત ગુનાઓના છેલ્લા 30 વર્ષમાં પકડાયેલા આરોપીઓને ટ્રેસ કરી જરૂરી કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપ્યું હતું. રેન્જની આઇજીની સૂચનાના આધારે વડોદરા જિલ્લા પોલીસ વડા સુશિલ અગ્રવાલ દ્વારા પોલીસ અધિકારી અને કર્મચારીઓની ટીમો તથા જીલ્લાના 14 પોલીસ સ્ટેશન, એલ.સી.બી. તેમજ એસ.ઓ.જી. દ્વારા પણ વિવિધ ટીમો બનાવી વડોદરા ગ્રામ્ય જીલ્લા ખાતે ઉપરોકત ગુનાઓના આરોપીઓની યાદી તૈયાર કરતા 550થી વધુ આરોપીઓની વિગતો મળેલ અને ઉપરોકત વિવિધ ટીમો દ્રારા અલગ-અલગ સ્થળોએ કોમ્બીંગ હાથ ધરી તેમને ટ્રેસ કરી વેરીફીકેશન કરતા 200થી વધુ આરોપીઓ 100 કલાકની કોમ્બીંગની કામગીરી દરમ્યાન ટ્રેસ કરવામાં આવ્યા હતા. તે પૈકી ઝીણવટીભરી રીતે તપાસ કરતા 30થી વધુ આરોપીઓ મરણ ગયેલ હોવાનું જણાઇ આવ્યું હતું, જેઓના મરણના પુરાવા એકત્રીત કરવામાં આવ્યા હતા તેમજ 2 આરોપીઓ હાલમાં જેલમાં હોવાનુ જણાઇ આવ્યું હતું, તેઓની જેલની પ્રવૃત્તિ બાબતે વોચ તપાસ રાખવામાં આવી છે. કોમ્બીંગ દરમ્યાન 150થી વધુ આરોપીઓ હાજર મળી આવતા તેમની હાલની પ્રવૃત્તિ તેમજ ગુનાહીત પ્રવૃત્તિની ચકાસણી કરવામાં આવી હતી. તેઓની વિવિધ માહીતી જેવી કે, તેમના પરિવારની, મિત્રોની, સગા સબંધીઓની, મિલ્કતોની, સંપર્કોની તેમજ તેઓની હાલની પ્રવૃત્તિની વિગતો એકઠી કરી ડોઝીયર્સ ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે તેમજ આ આરોપીઓના બીજા કોઇ ગુનાહિત ઇતિહાસ તેમજ ગુનાહિત પ્રવૃતિ બાબતે તથા સમગ્ર દેશમાં કોઇપણ જગ્યાએ ગુનો આચરેલ હોય તે બાબતોની ચકાસણી માટે ICJS પોર્ટલ, e-GujCop, NAFIS પોર્ટલ વિગેરેનો ઉપયોગ કરી જરૂરી માહિતી એકઠી કરવામાં આવી છે આ આરોપીઓની શોધખોળ માટે વિવિધ વિસ્તારોમાં કોમ્બીંગ દરમ્યાન સી.સી.ટી.વી. જાહેરનામા ભંગના-6 કેસ, મકાન ભાડુઆત જાહેરનામા ભંગના-5 કેસ, સીક્યુરીટી ગાર્ડ જાહેરનામા ભંગના-1 કેસ, મજુર જાહેરનામા ભંગના-1 કેસ મળી કુલ-13 જાહેરનામા ભંગના કેસ દાખલ કરવામાં આવ્યા છે તથા એમ.વી. એક્ટ 207 મુજબ-94 વાહન ડીટેઇન કરવામાં આવ્યા છે.
ભરૂચના યુવકનું અપહરણ કરનાર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે પોલીસે ગુનામાં વપરાયેલી આરોપી આફતાબની કાર, સસ્પેન્ડેડ આરોપી પોલીસકર્મી યાજ્ઞિક ચાવડાની એક્ટિવા અને આફતાબના ઘરેથી રૂ.1 લાખ રિકવર કર્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના શેરપુરા રોડ પર આવેલી મદીના પાર્ક સોસાયટીમાં રહેતા અફાન ઉસ્માન કાનીનું ત્રણ જણાએ અમદાવાદ એસઓજી પોલીસ હોવાની ઓળખ આપી યુવકની મહિલા મિત્રને અન્ય કારમાં અપહરણ કરી લઇ ગયાં હતા, ત્યારબાદ 50 લાખની માગણી કરી હતી. 50 લાખ આપવા પડશે, નહી તો તારા પર ખોટા કેસ કરી ફસાવી દઇશુ તેવી ધમકી આપી હતી. યુવકની પાસેથી સાડા ચાર લાખ રૂપિયા બળજબરીથી પડાવી લીધા હતા. જેમાં પોલીસ દ્વારા પોલીસે સેન્ટ્રલ જેલમાં હવાલદાર તરીકે ફરજ બજાવતા યાજ્ઞિક ચાવડા અને કે. ડી. કુંભાર તેમજ આફતાબ પઠાણ અને અન્ય એક મળી સહિત ચાર લોકો સામે અપહરણ તથા ખંડણીનો ગુનો દાખલ કર્યો હતો. જેમાં ડીસીપી ઝોન -3 અભિષેક ગુપ્તા દ્વારા અલગ અલગ ટીમો બાવીને અપહરણ કારો પાકીને બે આરોપી યાજ્ઞિક ચાવડા તથા આફતાબ નઇમખાન પઠાણ ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે કાના દાના કુંભાર સહિત બેને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમની અલગ અલગ ટીમો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસે જે યુવતી ભરુચના યુવક સાથે કારમાં હતી અને તેને અન્ય કારમાં અપહરણકારો બેસાડી લઇને તેનું અપહરણ કરી લઇ ગયાં હતા. તે યુવતી પણ પોલીસ સમક્ષ હાજર થઇ ન હતી. જેથી પોલીસે આ યુવતીને નોટિસ આપીને તેને બોલાવવામાં આવી છે, જોકે યુવતી હજી સુધી આવી નથી. બીજી તરફ જે પોલીસ લાઇનની સામે જે વ્યક્તિને રૂપિયા આપ્યાં હતા તેને નિવેદન માટો પોલીસ દ્વારા બોલાવવામાં આવ્યો છે. આ દરમિયાન પોલીસે ગુનામાં વપરાયેલી આફતાબની કાર તથા યાક્ષિક ચાવડાની એક્ટિવા કબજે કરી છે. આ ઉપરાંત ભરુચના યુવક પાસેથી પડાવેલા એક લાખ રૂપિયા આફતાબે તેના ઘરે રાખ્યાં હતા, તે પણ પોલીસે કબજે કર્યા છે. આ ઉપરાંત ગુનામાં વપરાયેલી કાર પણ જપ્ત કરી છે.
ડાંગ જિલ્લા પોલીસે આંતરરાજ્ય સાયબર ફ્રોડના એક ગંભીર કેસમાં મોટી સફળતા મેળવી છે. ડાંગ સાયબર ક્રાઇમ પોલીસે ગાંધીનગર સ્થિત માઇક્રો ટેક્નોલોજી કંપનીના માલિક રાજેશકુમાર રામચરિત્ર સિંઘને ઝડપી પાડ્યો છે. આરોપી 14 જેટલા સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલો હતો. ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન તેણે અન્ય ગુનાઓની પણ કબૂલાત કરી છે, જેનાથી તપાસનો વ્યાપ વધ્યો છે. આ કેસ ડાંગ જિલ્લાના ચિરાપાડા ગામના એક વ્યક્તિની ફરિયાદ પરથી શરૂ થયો હતો. પીડિતને શેરબજારમાં રોકાણ કરાવી ઊંચા નફાની લાલચ આપી છેતરવામાં આવ્યો હતો. આરોપીઓએ હાઈ-પ્રોફાઇલ ટ્રેડિંગ પ્લેટફોર્મ અને નફાના ખોટા દાવાઓ બતાવી પીડિત પાસેથી ₹1.70 લાખ જેટલી રકમ પડાવી હતી.ફરિયાદ મળ્યા બાદ ડાંગ સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ સોર્સ, ડિજિટલ પુરાવા અને બેંક ટ્રાન્સફર ટ્રેઇલના આધારે તપાસ શરૂ કરી હતી. કંપનીનો માલિક જ ખાતા ઓપરેટ કરતોતપાસ દરમિયાન જાણવા મળ્યું કે 14 જેટલા સાયબર ગુનાઓમાં ઉપયોગમાં લેવાયેલા બેંક ઓફ બરોડાના ખાતા માઈક્રો ટેક્નોલોજી કંપનીના માલિક રાજેશકુમાર સિંઘના નામે હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વર્ષોથી વિવિધ રાજ્યોમાં ઓનલાઈન શેરબજાર, ક્રિપ્ટો ટ્રેડિંગ અને રોકાણના નામે લોકો સાથે છેતરપિંડી કરતો હતો. ડાંગ પોલીસે તેની ટેકનિકલ કુશળતાનો ઉપયોગ કરીને આરોપીને ગાંધીનગરમાંથી ઝડપી પાડ્યો. પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યોરિમાન્ડ દરમિયાન સાયબર ક્રાઇમ ટીમે આરોપી પાસેથી મોબાઈલ ફોન, બેંક ખાતાની વિગતો, ડિજિટલ વોલેટ અને અન્ય ડિવાઇસ સહિતના ટેકનિકલ પુરાવા જપ્ત કર્યા છે. આ પુરાવાઓના આધારે વધુ વિગતો બહાર લાવવામાં આવી રહી છે. તપાસમાં આરોપી સામે અન્ય રાજ્યોમાં પણ સમાન પ્રકારના ગુનાઓ નોંધાયા હોવાની શક્યતા છે. લોકોને સજાગ રહેવા પોલીસની અપીલડાંગ પોલીસે નાગરિકોને ઓનલાઈન રોકાણ, શેરબજાર કે ઊંચા નફાના વાયદા કરતી અજાણી લિંક્સ અને કોલથી સાવચેત રહેવા અપીલ કરી છે. સાયબર ફ્રોડ સામે ડાંગ પોલીસની આ કાર્યવાહીને સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે.
પંચમહાલ પોલીસે IGP કપ ક્રિકેટ ટુર્નામેન્ટ જીતી:ફાઇનલમાં દાહોદ કલેક્ટર ટીમને 64 રનથી હરાવી
ગોધરાના રાજ્ય અનામત પોલીસ દળ (SRP) જૂથ–5 ખાતે આયોજિત IGP કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ સમાપન થયું છે. 23 નવેમ્બરે રમાયેલી ફાઇનલ મેચમાં પંચમહાલ પોલીસની ટીમે દાહોદ જિલ્લા કલેક્ટરની ટીમને 64 રનથી હરાવી વિજય મેળવ્યો હતો. આ ટુર્નામેન્ટ 5 નવેમ્બરથી શરૂ થઈ હતી. તેમાં પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લા પોલીસની ટીમો તેમજ દાહોદ જિલ્લા કલેક્ટરની ટીમ સહિત કુલ પાંચ ટીમોએ ભાગ લીધો હતો. આયોજનનો મુખ્ય હેતુ વહીવટી તંત્ર અને કાયદા વ્યવસ્થાની વિવિધ શાખાઓ વચ્ચે સંકલન, સૌહાર્દ અને ખેલદિલી વધારવાનો હતો. ગોધરા રેન્જના IGP રાજેન્દ્ર અસારીના માર્ગદર્શન હેઠળ આ ટુર્નામેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થઈ. દરેક ટીમે લીગ રાઉન્ડમાં ચાર મુકાબલા રમ્યા હતા. ફાઇનલ મુકાબલો પંચમહાલ પોલીસ અને દાહોદ જિલ્લા કલેક્ટરની ટીમ વચ્ચે યોજાયો હતો. ટોસ જીતીને પંચમહાલ પોલીસે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને નિર્ધારિત 20 ઓવરમાં 150 રનનો સ્કોર બનાવ્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દાહોદ જિલ્લા કલેક્ટરની ટીમ 86 રન જ બનાવી શકી, જેથી પંચમહાલ પોલીસની ટીમે 64 રનથી જીત મેળવી. આ ટુર્નામેન્ટમાં મોટી સંખ્યામાં અધિકારીઓ અને પોલીસકર્મીઓ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. SRP જૂથ–5ના અધિકારીઓ, ગોધરા રેન્જ પોલીસ અને વહીવટી તંત્રની ટીમોએ આયોજન અને વ્યવસ્થાપનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. IGP રાજેન્દ્ર અસારીનો આ પ્રયાસ ખેલભાવના અને પરસ્પર સુમેળ વધારવામાં મદદરૂપ થયો.
ધી ગુજરાત સચિવાલય સેક્શન અધિકારી એસોસિએશનએ સચિવાલયમાં સેક્શન અધિકારી, વર્ગ-2ની મોટી સંખ્યામાં ખાલી રહેલી જગ્યાઓ તાત્કાલિક ફિડર કેડરના નાયબ સેક્શન અધિકારીઓ ભરવા રાજ્ય સરકારને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મુખ્ય સચિવને વિસ્તૃત લેખિત રજૂઆત કરવામાં આવી છે. 231 જગ્યા એટલે કે 38 ટકા લાંબા સમયથી ખાલીરજુઆતમાં જણાવ્યા મુજબ સચિવાલયમાં સેક્શન અધિકારીની કુલ 606 જગ્યા પૈકી 231 જગ્યા એટલે કે 38 ટકા લાંબા સમયથી ખાલી છે. જેના કારણે હાલ સેવા આપતા અધિકારીઓ પર વધારાનો કામનો બોજ વધ્યો છે અને નીતિ આધારિત અને મહત્વપૂર્ણ કામગીરીની ગતિ પર સીધી અસર થઈ રહી છે. ભરતી પ્રક્રિયા પૂર્ણ થવા 2-3 વર્ષ લાગતા હોય છેએસોસિએશનના જણાવ્યા મુજબ આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવાની વ્યવસ્થા હોવા છતાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થવા 2-3 વર્ષ લાગતા હોય છે. ઉપરાંત, નિયુક્ત નવા અધિકારીઓને તાલીમ અને અજમાયશી સમયગાળા બાદ કાર્યક્ષમ બનવા 4થી 5 વર્ષ જેટલો સમય લાગી જતા હોવાથી તંત્રમાં કાર્યક્ષમતા અને નિર્ણયક્ષમતાનો અભાવ સર્જાઈ રહ્યો છે. 2040 સુધી માત્ર 350 જેટલા અધિકારીઓને જ બઢતી મળવાની શક્યતાહાલ સચિવાલયમાં 1350થી વધુ નાયબ સેક્શન અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે, પરંતુ સેવા નિયમો પ્રમાણે વર્ષ 2040 સુધી માત્ર 350 જેટલા અધિકારીઓને જ બઢતી મળવાની શક્યતા છે. બાકી રહેલા લગભગ 1000 કર્મચારીઓ દાયકાઓ સુધી બઢતીથી વંચિત રહેવાની સ્થિતિ સર્જાઈ છે, જેનાથી કર્મચારીઓમાં અસંતોષ, નિરાશા અને હતોત્સાહ વધી રહ્યો છે. રજુઆતમાં જણાવ્યા મુજબ બઢતી ન મળવાને કારણે કર્મચારીઓમાં ફ્રસ્ટ્રેશન, નિર્ણય પ્રક્રિયામાં વિલંબ અને પોલિસી પેરાલિસિસ જેવા નકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે જે રાજ્યના સમગ્ર વહીવટ પર અસરકારક છે. એસોસિએશને માંગણી કરી છે કે, ભરતી નિયમોમાં યોગ્ય ફેરફાર કરીને સેક્શન અધિકારીની ખાલી જગ્યાઓ તાત્કાલિક ફિડર કેડરના અનુભવી નાયબ સેક્શન અધિકારીઓથી ભરવામાં આવે, જેથી અનુભવ ધરાવતા કર્મચારીઓ વહીવટમાં યથોચિત રીતે યોગદાન આપી શકે અને રાજ્યના વિકાસલક્ષી કાર્યમાં વેગ મળી રહે.
ગઢડામાં જીનનાકા પાસે છકડો રીક્ષા પલટી:ખાડાઓને કારણે દુર્ઘટના, તાત્કાલિક સમારકામની માંગ
ગઢડાના જીનનાકા મુખ્ય માર્ગ પર ખાડાઓને કારણે એક કપાસ ભરેલી છકડો રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. આ ઘટનાએ રસ્તાની બિસ્માર હાલત ફરી એકવાર સામે લાવી છે. દુર્ઘટના બનતા જ સ્થાનિક લોકો અને ત્યાંથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે રીક્ષાને ઊભી કરવામાં અને ડ્રાઈવરને મદદ કરી હતી. આ ઘટના બાદ સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, જીનનાકા મુખ્ય માર્ગ વર્ષોથી ખખડધજ સ્થિતિમાં છે. રસ્તા પરના ઊંડા ખાડાઓ વાહનચાલકો માટે જોખમી બન્યા છે. આ માર્ગ ભાવનગર, રાજકોટ, અમરેલી અને અમદાવાદ સહિતના મુખ્ય શહેરોને જોડે છે, તેમ છતાં તેની અવગણના કરવામાં આવી રહી છે. સ્થાનિકો અને વાહનચાલકોએ તંત્રને તાત્કાલિક ધોરણે આ માર્ગનું ગુણવત્તાપૂર્ણ સમારકામ કરવાની માંગ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો સમયસર સમારકામ નહીં થાય તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. લોકો કાગળ પરના વાયદા નહીં, પરંતુ જમીન પર કામ જોવા માંગે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સોમવારે જામનગરની મુલાકાત લેશે. તેઓ સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરશે અને કુલ 622.52 કરોડ રૂપિયાના 69 વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરશે. મુખ્યમંત્રીના કાર્યક્રમ માટે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. રવિવારે, એરપોર્ટથી સાત રસ્તા બ્રિજ અને સભા સ્થળ સુધી 30 જેટલી કારના કાફલા સાથે રૂટનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના હસ્તે 54 કામોના ખાતમુહૂર્ત અને 15 કામોના લોકાર્પણ કરવામાં આવશે. જે કામોના ખાતમુહૂર્ત થનાર છે તેમાં જામનગર મહાનગરપાલિકા હસ્તકના રૂ. 33.89 કરોડના કામો, પશુપાલન વિભાગના 13 કામો, માર્ગ અને મકાન વિભાગના રૂ. 64.03 કરોડના 34 કામો, પોલીસ વિભાગનું રૂ. 20.36 કરોડનું એક કામ, જિલ્લા આયોજન કચેરી હસ્તકનું રૂ. 0.09 કરોડનું એક કામ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તકનું રૂ. 0.90 કરોડનું એક કામ સામેલ છે. લોકાર્પણ થનાર કામોમાં જામનગર મહાનગરપાલિકા હસ્તકના રૂ. 417.33 કરોડના સાત કામો, મેડિકલ કોલેજ હસ્તકનું રૂ. 54.94 કરોડનું એક કામ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તકના રૂ. 2.04 કરોડના ચાર કામો, સિંચાઈ વિભાગના રૂ. 13.26 કરોડના બે કામો અને જિલ્લા આયોજન કચેરી હસ્તકનું રૂ. 0.05 કરોડનું એક કામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અન્ય વિભાગોના રૂ. 101.01 કરોડના 53 કામોનું ખાતમુહૂર્ત અને રૂ. 70.29 કરોડના 8 કામોનું લોકાર્પણ પણ કરવામાં આવશે. મુખ્યમંત્રીના આગમનને પગલે જામનગર વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. આદિજાતિ મંત્રી નરેશ પટેલે તેમના મતવિસ્તારમાં બૂથ લેવલ ઓફિસર (BLO) ની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે BLO ને કોઈપણ અફવાઓ પર ધ્યાન આપ્યા વિના તણાવમુક્ત રીતે કામ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં મતદાર યાદી વિશેષ સુધારણા (SIR) કાર્યક્રમ અમલમાં છે. આ કાર્યક્રમમાં પ્રાથમિક શાળાના શિક્ષકોને BLO તરીકેની કામગીરી સોંપવામાં આવી છે. જોકે, આ શિક્ષકો દ્વારા તેમને પડતી વિવિધ સમસ્યાઓ અંગે ફરિયાદો ઉઠાવવામાં આવી છે. BLOને કામગીરીના દબાણને કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. એક શિક્ષકે SIR કામગીરીના દબાણ હેઠળ આત્મહત્યા પણ કરી હતી. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના શિક્ષકોએ સહાયક BLO માટે વધુ શિક્ષકોની નિમણૂકનો વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત, વ્યક્તિગત કે સામાજિક કારણોસર BLO ફરજ પર હાજર ન રહી શકે તો ધરપકડ વોરંટ કાઢવાના નિયમ રદ કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી. આ પરિસ્થિતિ વચ્ચે, મંત્રી નરેશ પટેલે BLO ની કામગીરીનું નિરીક્ષણ કરવા અને તેમને પ્રોત્સાહિત કરવા ખેરગામ, મજીગામ અને દેવસર સહિત અંદાજે 15 બૂથની મુલાકાત લીધી હતી. તેમણે 70% કામગીરી પૂર્ણ થઈ હોવા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. મંત્રીએ BLOને મતદાર યાદીમાં જન્મ તારીખ, નામ અને અટક જેવી વિગતોમાં ભૂલ ન રહે તેની ખાસ તકેદારી રાખવા સૂચન કર્યું હતું. આદિજાતિ મંત્રી નરેશ પટેલે BLOને ટેન્શન વિના અને કોઈપણ પ્રકારની અફવાઓ ઉપર ધ્યાન ન આપી કામગીરી કરવા પ્રોત્સાહિત કર્યા હતા. ટેન્શન વિના BLO ને કામ કરવાની સલાહ મુદ્દે તેમણે સાચા મતદારને મતદાર યાદીમાં સમાવવાના કામને પુણ્યનું કામ ગણાવ્યું હતું. મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે, ભારતની આઝાદી બાદથી અનેક વાર અમારા BLO એ મતદાર યાદી સુધારવાનું કામ કર્યુ છે. ચુંટણી પંચના આદેશથી અમારા કર્મચારીઓ ખૂબ ભાવથી વર્ષોથી જોડાયેલા જ છે. કેટલાક લોકો ખોટી અફવાને કારણે ખોટી અફવાઓ ન ફેલાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ. BLOની કામગીરી એકબીજા સાથે આત્મીયતા કેળવવાનું છે, એકબીજા સાથે સંબંધ પણ કેળવાય છે અને સાચો મતદાર યાદીમાં આવે એ પણ પુણ્યનું કામ હોય છે, એટલે હું BLOને અભિનંદન પાઠવું છું. રાજ્યમાં BLOની કામગીરીમાં શિક્ષકોની ફરિયાદો વચ્ચે સરકાર દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનારા BLO ને સન્માનિત કરવા સાથે જ મંત્રીઓના નિરીક્ષણ થકી તેમનામાં સકારાત્મક જોમ ભરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
મહેસાણા શહેરમાં ફરી એકવાર ચેન સ્નેચરો સક્રિય થયા છે.શહેરના ગાયત્રી મંદિર નજીક દર્શન કરી એક વૃધ્ધા પોતાના ઘરે ચાલીને જતા હતા એ દરમિયાન સરનામું પૂછવાના બહાને બે અજાણ્યા ઈસમોએ વૃધ્ધાના ગળામાં પહેરેલ બે તોલાનો સોનાનો દોરો ઝૂંટવી રફુચક્કર થઈ ગયા હતા.સમગ્ર ઘટના અંગે વૃદ્ધાએ ઘરે જાણ કરતા ત્યારબાદ મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા બે ઈસમો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તજવીજ આદરી છે. બાઈક પર આવેલા બે શખસો ગુનાને અંજામ આપી ફરારમહેસાણા શહેરમાં ધરમ સિનેમા પાછળ ત્રિવેણીપાર્ક સોસાયટીમાં રહેતા 67 વર્ષીય ઉષાબેન ચૌધરી આજે સવારે પોણા નવ વાગે પોતાના ઘરેથી ચાલીને મહેસાણા હાઇવે પર આવેલા ગાયત્રી મંદિરે દર્શન કરવા માટે ગયા હતા.અને દર્શન કરી પરત ઘરે ચાલીને જતા હતા એ દરમિયાન સ્વામિનારાયણ મંદિરના પ્રાર્થનાસભા હોલ પાસે જતા હતા એ દરમિયાન બે અજાણ્યા ઈસમોએ સંસ્કાર ફ્લેટ પાસે બાઇક ઉભું રાખી ઉભા હતા. બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી જેમાંથી એક ઇસમે વૃદ્ધા પાસે જઈ રામ લખન ફ્લેટ ક્યાં આવ્યા એમ પૂછવા નજીક ગયો અને વૃધા ના ગળામાં પહેરેલ સોનાનો દોરો ઝૂંટવી બાઇક પર બેસી હિંગળાજ ચોક તરફ ભાગી ગયો હતો.સમગ્ર ઘટના અંગે વૃધા એ ઘરે આવી પોતાના પતિને આ બાબતે જાણ કરી હતી.ત્યારબાદ તેઓએ મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં 1,35 લાખ કિંમતના સોનાના દોરા ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી.
સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે 13થી 23 નવેમ્બર સુધી યોજાયેલા અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025માં કુલ 8.21 લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. જેને કારણે આ સાહિત્યિક મહોત્સવ રાજ્યમાં જ નહીં પરંતુ, રાષ્ટ્રીય સ્તરે પણ સૌથી વધુ મુલાકાતીઓ ધરાવતું બુક ફેસ્ટિવલ બની ગયો છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા પણ મુલાકાત લેવામાં આવી હતી. ખાસ કરીને યુવાઓ અને બાળકો પણ આ બુક સ્ટોલમાં આવીને સાહિત્ય અંગેની માહિતી મેળવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત ‘બેરિસ્ટર મિસ્ટર પટેલ’ સહિત અનેક પુસ્તકોનું લોન્ચિંગ પણ થયું હતું. આ મહોત્સવમાં 300થી વધુ પ્રકાશકોએ ભાગ લીધો હતોઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા લગભગ 1 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં તૈયાર કરાયેલ આ મહોત્સવમાં 300થી વધુ પ્રકાશકોએ ભાગ લીધો હતો. શહેરના દરેક વય જૂથ માટે ત્રણ વિશિષ્ટ ઝોન બનાવવામાં આવ્યા હતા, જેમાં બાળ સાહિત્ય, સર્જનાત્મક સત્રો, કાવ્ય-વાચન, લેખકો સાથેની ચર્ચાઓ, વર્કશોપ્સ અને ફિલ્મ ફેસ્ટિવલ જેવી પ્રવૃત્તિઓ સતત પ્રેક્ષકોને આકર્ષિત કરતી રહી હતી. વિવિધ સ્પર્ધાઓમાં હજારો વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયાઆ બુક ફેસ્ટિવલમાં બાળકોના વર્કશોપ્સ, વાર્તાવાચન કાર્યક્રમો, કલા-હસ્તકલા, ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલે વિશેષ લોકપ્રિયતા મેળવી હતી. સ્કૂલ બોર્ડના શતાબ્દી મહોત્સવના ભાગરૂપે યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં હજારો વિદ્યાર્થીઓને ઇનામો આપી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. યુવાનો માટેના ‘જ્ઞાન ગંગા’ વર્કશોપ્સે પણ મહોત્સવની ધમાકેદાર સફળતામાં મોટો ફાળો આપ્યો હતો. કાવ્ય લેખન, નાટક, ફિલ્મ સ્ક્રિપ્ટિંગ અને બુક ડિઝાઇન સહિતના સર્જનાત્મક વર્કશોપ્સ અને વિવિધ બુક લોન્ચ સત્રોએ વિદ્યાર્થીઓ, લેખકો અને સર્જકોને એકસાથે લાવ્યા હતા. દરરોજ યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ સમગ્ર મહોત્સવને જીવંત રાખ્યોઆ ઉપરાંત વિદેશી વક્તાઓની હાજરીએ મહોત્સવને વૈશ્વિક સ્પર્શ આપ્યો હતો. ચિલે, સ્પેન, ઇંગ્લૅન્ડ અને દક્ષિણ આફ્રિકામાંથી આવેલા વિચારકોએ ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિ સાથે સંબંધિત વિષયો પર વિશેષ સત્રો લીધા હતા. એટલું જ નહીં મેઇન સ્ટેજ પર દરરોજ યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ સમગ્ર મહોત્સવને જીવંત રાખ્યો હતો. આ મહોત્સવનું આયોજન સુવ્યવસ્થિતતા અને સુવિધાઓને કારણે પણ ખૂબ વખાણાયુ હતું. સ્વચ્છ કેમ્પસ, વિશાળ ફૂડ કોર્ટ, સ્ટાર્ટઅપ ઝોન, વીઆર ગેમિંગનું અનોખું સ્ટેમ્પ પ્રદર્શન અને વાંચન માટે અનુકૂળ વાતાવરણના કારણે અનેક પરિવારોને અહીં લાંબા સમય સુધી સમય વિતાવવાનો આનંદ મળ્યો હતો. આમ, આયોજકોએ કરેલી મહેનતને સ્મરણીય સફળતા મળતાં અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025ને ‘જ્ઞાનનો મહાકુંભ’ તરીકે ઓળખ મળી છે.
બોટાદ: બોટાદ શહેરના ગિરિરાજ જૈન સંકુલ ખાતે નાના બાળકો માટે એક વિશેષ શૈક્ષણિક અને પ્રેરણાત્મક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય હેતુ બાળકોમાં મોબાઇલના વધતા ઉપયોગને નિયંત્રિત કરવો, અભ્યાસ પ્રત્યે રુચિ જગાવવી અને ટેકનોલોજીના સંતુલિત ઉપયોગ અંગે માર્ગદર્શન આપવાનો હતો. શિબિર દરમિયાન, બાળકોને આધ્યાત્મિક જ્ઞાન, વ્યક્તિત્વ વિકાસ, નૈતિક મૂલ્યો, સમયનો સાર્થક ઉપયોગ અને નિયમિત અભ્યાસના મહત્વ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. બાળકોએ ઉત્સાહપૂર્વક વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો અને શાળાકીય જીવન તેમજ ભવિષ્ય માટે ઉપયોગી જ્ઞાન મેળવ્યું. ગિરિરાજ જૈન સંકુલ દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસને વાલીઓ અને સમાજના સભ્યો તરફથી વ્યાપક પ્રશંસા મળી છે. આવી શિબિરો નાના વિદ્યાર્થીઓમાં સકારાત્મક દૃષ્ટિકોણ અને સર્જનાત્મકતા વિકસાવવામાં મદદરૂપ થાય છે.
મોરબીમાં મહાપાલિકા અને રોટરી ક્લબ દ્વારા રવિવારે 'ધમાલ ગલી' કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કેસર બાગ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકોએ ભાગ લીધો હતો અને વિસરાઈ ગયેલી શેરી રમતોનો આનંદ માણ્યો હતો. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા અને મોબાઈલના વધતા ઉપયોગને કારણે બાળકો શેરી રમતોથી વિમુખ થઈ રહ્યા છે. પહેલાના સમયમાં શેરીઓમાં રમાતી લખોટી, થપો, ટાયર ફેરવવા, લંગડી, આંધળોપાટો, કોથળા દોડ, ધમાલિયો ધોકો અને ભમરડા જેવી રમતો હવે ભાગ્યે જ જોવા મળે છે. આ વિસરાઈ ગયેલી રમતોને ફરી જીવંત કરવાના હેતુથી 'ધમાલ ગલી'નું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે સહિતના અધિકારીઓ, બાળકો, યુવાનો અને વૃદ્ધોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉપસ્થિત સૌએ કોથળા દોડ, ધમાલિયો ધોકો, ભમરડો, લંગડી, આંધળોપાટો, મલ કુસ્તી, લખોટી, સાપસીડી અને દોરડા કૂદ જેવી વિવિધ રમતોની મજા માણી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રોટરી ક્લબના પ્રેસિડેન્ટ સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. આયોજકોએ જણાવ્યું કે, દર મહિને મોરબીના જુદા જુદા વિસ્તારોમાં આવી જ રીતે 'ધમાલ ગલી'નું આયોજન કરવામાં આવશે.
ભુજના ઢોરી ગામે એક યુવતીની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. પ્રેમ સબંધમાં પથ્થરના ઘા મારી પ્રેમીએ જ હત્યા કરી હોવાની શક્યતાં છે. માધાપર પોલીસે યુવતીના મૃતદેહને પોસમોર્ટમ માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડ્યો છે. અમે આને સતત અપડેટ કરી રહ્યા છીએ...
હનીમૂન માટે ગયેલું ગુજરાતી કપલ જાકાર્તામાં ફસાયું હનીમૂન માટે ગયેલું ગુજરાતી કપલ જાકાર્તામાં ફસાયું. શુક્રવારથી આ ત્રણ જણાને એક હોટલમાં ગોંધી રખાયા છે. અને છોડવા માટે પરિવાર પાસે 18 લાખ રૂપિયાની ખંડણી માંગી છે. આ ત્રણેય લોકો અમદાવાદના છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત 5 સામે કરોડોની છેતરપિંડીનો આક્ષેપ રાજકોટના વેપારીએ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત 5 શખ્સો સામે 4.28 કરોડની છેતરપિંડીનો આક્ષેપ કર્યો છે. વેપારીએ આક્ષેપ કર્યો કે, આ અંગે સવાર કરતા તેમણે એવું કહ્યું કે, છેતરપિંડીની અમુક રકમ ભાજપના પાર્ટી ફંડમાં ગઈ છે. અલ્પેશ ઢોલરીયાએ વેપારી સામે 10 કરોડ માનહાનીનો દાવો કર્યો છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ચાર કુતરાઓ 5 વર્ષના બાળક પર તૂટી પડ્યાં સુરતમાં ચાર કુતરાઓએ 5 વર્ષના બાળક પર જીવલેણ હુમલો કર્યો. કુતરાઓએ બચકાં ભરી બાળકનું માથું ફાડી નાખ્યું. ગંભીર હાલતમાં બાળકને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો અમિત ચાવડાના ભાજપ પર ગંભીર આક્ષેપ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપનું નામ લીધા વિના આક્ષેપો કર્યા. તેમણે કહ્યું, અહિં પાણી નથી મળતું પણ દારૂ જોઈએ એટલો મળે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો SIRની લાઇનમાં ઊભેલો યુવક ઢળી પડ્યો વડોદરામાં 2 કલાકથી SIRની લાઇનમાં ઊભેલો યુવક અચાનક ઢળી પડ્યો. લોહીલુહાણ હાલતમાં યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ભરત સુતરિયાના વિરોધીઓ પર પ્રહાર અમરેલીના સાંસદ ભરત સુતરિયાએ પોતાના વિરોધીઓ પર પ્રહાર કર્યાં. તેમણે કહ્યું, 'ચૂંટણી સમયે મને એટલો ઘેરી લીધો હતો અને એવો આહાર કે સેવન કરાવી દીધો હતો, જે મેં ક્યારેય કર્યો નહોતો'. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો CMએ દીકરીના લગ્ન માટે કાર્યક્રમનું સ્થળ બદલ્યું આજે જામનગર શહેરના ટાઉનહોલમાં એક દીકરીના લગ્ન હતા. આવતી કાલે ત્યાં જ મુખ્યમંત્રીનો કાર્યક્રમ હતો. તેથી પરિવાર ચિંતામાં મુકાયો હતો. જો કે, CMએ પરિવાર સાથે ફોન પર વાત કરી, કહ્યું, તમારા મેરેજ હતા ત્યાં મારો પ્રોગ્રામ કરવાની મેં ના પાડી છે, તમે ફંક્શન કરજો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ભાવનગરમાં મદરેસા સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા ભાવનગરમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. અકવાડા લેકથી અધેવાડા ગામ સુધીના 24 મીટર TP રોડ પર 1500 ચોરસ મીટરમાં મદરેસા સહિતના દબાણો દૂર કરાયા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો રાજકોટઃ પાણીપુરી ખાવા ગયેલી મહિલાની માથું છૂંદી હત્યા રાજકોટની કોપર ગ્રીન સોસાયટીમાં રહેતા 33 વર્ષીય મહિલાની માથું છૂંદેલી હાલતમાં લાશ મળી. ગઈકાલે સાંજે પતિને પાણીપૂરી ખાવા જાઉં છું, તેમ કહી ઘરેથી નીકળ્યાં હતાં. પરંતુ બાદમાં પરત ન ફર્યા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સુરતઃ 60 ફૂટ ઊંચા ઓવરબ્રિજથી પટકાતા માલિકનું મોત સુરત શહેરમાં અણુવ્રતદ્વાર ઓવરબ્રિજ પરથી પટકાતા માલિકનું મોત નિપજ્યું. બ્રિજ પરથી મહિલાનું મોપેડ મળ્યું છે. આ ઘટના અકસ્માત છે કે પછી આપઘાત તેને લઈ રહસ્ય ઘેરાયું છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
સાબરકાંઠા જિલ્લામાં મતદાર યાદી સુધારણા (SIR) કાર્યક્રમ હેઠળ 63 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. કુલ 21 દિવસમાં આ પ્રગતિ નોંધાઈ છે. હવે બાકીના 11 દિવસમાં કામગીરી પૂર્ણ કરવા માટે આવતીકાલથી બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) ફિલ્ડમાં જઈને ઘરે-ઘરે મુલાકાત લેશે. જિલ્લામાં કુલ 11,61,128 મતદારો નોંધાયેલા છે, જેમાં 5,87,484 પુરુષ, 5,73,591 સ્ત્રી અને 53 ત્રીજા જાતિના મતદારોનો સમાવેશ થાય છે. SIR કાર્યક્રમ 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી એક મહિના માટે ચાલવાનો છે. આ કાર્યક્રમ અંતર્ગત, જિલ્લા કલેક્ટર રવિવારે સવારથી પોશીના, ખેડબ્રહ્મા, વિજયનગર, ઇડર, વડાલી અને હિંમતનગરના વિવિધ મતદાન મથકોની મુલાકાત લીધી હતી. તેમણે BLOsની કામગીરીનું નિરીક્ષણ કર્યું અને જરૂરી જાણકારી મેળવી. ખેડબ્રહ્મા વિધાનસભા મતદાર વિભાગમાં મતદારોને મતદાન મથક પર ફોર્મ ભરવા માટે એકઠા કરવા રૂઢિગત પરંપરા મુજબ ઢોલ વગાડવામાં આવ્યા હતા. BLOs સાથે સહાયકો પણ મુકવામાં આવ્યા છે, જેથી કામગીરી ઝડપથી પૂર્ણ થઈ શકે. 23 નવેમ્બર, 2023 સુધીમાં 63 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. બાકીના 11 દિવસમાં SIRની કામગીરી પૂર્ણ કરવાની હોવાથી, BLOs પોતાના મતદાન મથક વિસ્તારમાં ફિલ્ડમાં જશે. તેઓ ઘરે-ઘરે પહોંચીને ભરાયેલા ફોર્મ પરત લેશે અને બાકી રહેલા ફોર્મ ભરવા અંગેની જાણકારી પણ આપશે. સાબરકાંઠા ચૂંટણી વિભાગ પાસેથી મળેલ માહિતી મુજબ, 4 નવેમ્બરથી 23 નવેમ્બર સુધીમાં SIR હેઠળ મતદાર યાદી સુધારણા કાર્યક્રમની જિલ્લામાં 63 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. વિધાનસભાવાર આંકડા જોઈએ તો, હિંમતનગરમાં 61 ટકા, ઇડરમાં 68 ટકા, ખેડબ્રહ્મામાં 59 ટકા અને પ્રાંતિજ વિધાનસભામાં 64 ટકા કામગીરી પૂર્ણ થઈ છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પહેલીવાર શહેરભરમાં પથરાયેલા વૃક્ષોનું આયુષ્ય વૈજ્ઞાનિક ઢબે નક્કી કરવા માટે એક મોટો સર્વે હાથ ધરવામાં આવનાર છે. મહાનગરપાલિકાએ આ સર્વે અને જીઓ ટેગિંગ માટે અંદાજે રૂ. 65 લાખના ખર્ચ સાથેનું ટેન્ડર બહાર પાડ્યું છે, જે શહેરના પર્યાવરણને વધુ હરિયાળું અને સુરક્ષિત બનાવવામાં મદદરૂપ થવાનો દાવો કરાયો છે. આ સર્વેમાં RMC હસ્તકના બાગ-બગીચાઓ, અર્બન ફોરેસ્ટ, સરકારી, ખાનગી અને ટ્રસ્ટની માલિકીની મિલકતો તેમજ જાહેર માર્ગો અને વ્યક્તિગત માલિકીના વૃક્ષો સહિતના તમામ સ્થળોને આવરી લેવામાં આવશે. સર્વેમાં 5 વર્ષથી વધુ આયુષ્ય ધરાવતા વૃક્ષોનો સમાવેશઆ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય વૃક્ષોના થડની જાડાઈ અને ઊંચાઈના આધારે તેમનું આયુષ્ય નક્કી કરવાનો છે. વૃક્ષ નિષ્ણાતો અને પર્યાવરણના જાણકારોની મદદથી આ સર્વે કરવામાં આવશે. સર્વેમાં 5 વર્ષથી માંડીને 50 વર્ષથી વધુ આયુષ્ય ધરાવતા વૃક્ષોનો સમાવેશ કરવામાં આવશે. સર્વેક્ષણની પદ્ધતિ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક અને ટેકનોલોજી આધારિત હશે. દરેક ઝોનમાં વોર્ડવાઇઝ અલગ-અલગ સ્થળોએ સર્વે કરીને વૃક્ષોનું જીઓ ટેગિંગ કરવામાં આવશે. વૃક્ષાના ફોટોગ્રાફિક સહિતના પુરાવા સોફ્ટવેરમાં અપલોડ કરાશેઆ પ્રક્રિયા દરમિયાન, દરેક વ્યક્તિગત વૃક્ષ અને લીલી જગ્યાને મોબાઈલ એપ્લિકેશન અને GIS-આધારિત સોફ્ટવેર (જે RMC દ્વારા વિકસાવવામાં આવનાર છે) દ્વારા જીઓ-ટેગ કરવામાં આવશે. ટીમોમાં નિષ્ણાતો દ્વારા વૃક્ષોની ઓળખ, તેમની ઊંચાઈ, સ્વાસ્થ્યલક્ષી મૂલ્યાંકન અને આધુનિક સર્વેક્ષણ સાધનોનો ઉપયોગ કરાશે. ડેટા ડિજિટલ સ્વરૂપમાં સાઇટ પર એપ્લિકેશનમાં દાખલ કરવામાં આવશે અને ફોટોગ્રાફિક પુરાવા સાથે સોફ્ટવેરમાં અપલોડ કરવામાં આવશે. શહેરને હરિયાળું બનાવવા એજન્સીઓને સૂચનો આપવાના રહેશેત્યારબાદ, આ એકત્રિત ડેટાના આધારે ઝોનવાર અને વોર્ડવાર વિગતવાર અહેવાલો નકશા, ગ્રાફ, કોષ્ટકો અને તુલનાત્મક વિશ્લેષણ સાથે તૈયાર કરવામાં આવશે. આ ડેટા શહેરના વૃક્ષો અને લીલીછમ જગ્યાઓ વિશે સચોટ અને અપડેટેડ માહિતી પૂરી પાડશે, જેના માટે નિયમિત નિરીક્ષણ અને ગુણવત્તા નિયંત્રણની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. એજન્સીઓએ વૃક્ષોની ગણતરી અને વિગતવાર અહેવાલ સાથે શહેરને વધુ હરિયાળું બનાવા માટે સરળ સૂચનો પણ આપવાના રહેશે. શહેરમાં વૃક્ષોની સંખ્યા 3 લાખથી પણ વધુRMCના અંદાજ મુજબ, મહાનગરપાલિકા વિસ્તારોમાં વ્યક્તિગત વૃક્ષોની સંખ્યા અંદાજે 300,000 જેટલી છે. ઉપરાંત, મહાનગરપાલિકાના અલગ-અલગ વિસ્તારો, જમીન-મિલકત ભોગવટાના નજીકના વિસ્તારોમાં જ્યાં લીલોતરી વધુ છે, તેવી જગ્યાઓનું ક્ષેત્રફળ આશરે 27,00,000 ચોરસ મીટર હોવાનો અંદાજ છે. સર્વેમાં વિવિધ પ્રકારના વૃક્ષોનો સમાવેશ કરાશે, જેમાં પીલખન, કરંજ, બોરસલી, આસોપાલવ, અરડુસો, લીમડો, વડ, બેન્જામીન, પારસ પીપળો, કદંબ, ગરમાળો, પીપળો, બોટલ બ્રશ, રેઈન ટ્રી, સપ્તપર્ણી, જાંબુ, ચંપો, ગુંદા, ગુલમહોર, લીંબુ, અરીઠા, સરગવો, પામ ટ્રી, આંબો, સવન, પારિજાત, બિલ્વવૃક્ષ અને કોનોકાર્પસ જેવા અન્ય પ્રકારના વૃક્ષોનો સમાવેશ થાય છે. વૃક્ષોની ખોટી ઓળખ બદલ દંડ ફટકારાશેઉલ્લેખનીય છે કે, કામગીરી દરમિયાન વૃક્ષ જે વૃક્ષોનું નિરીક્ષણ થયું છે તેને ચોક્કસ કોડ, રંગ, ડિઝાઇન અથવા પ્રતીકથી ચિહ્નિત કરવામાં આવશે, જેના માટે માત્ર પર્યાવરણને અનુકૂળ અને બિન-ઝેરી રંગોનો ઉપયોગ કરાશે. સૌથી અગત્યની બાબત એ છે કે, ખોટી રીતે ગણતરી કરવા કે વૃક્ષોની ખોટી ઓળખ કરવા બદલ પ્રતિ વૃક્ષ રૂ. 50થી 100 દંડ ફટકારવાની જોગવાઈ પણ રાખવામાં આવી છે. આ પગલું સર્વેની વિશ્વસનીયતા જાળવવા માટે લેવામાં આવ્યું છે.
નર્મદા જિલ્લાના તિલકવાડા રેલવે સ્ટેશન નજીક આજે એક અત્યંત કરૂણ ઘટના બની છે, જેમાં અંડરગ્રાઉન્ડ કામગીરી દરમિયાન વીજ કરંટ લાગવાથી બે યુવકોના મોત થયા છે. મૃતકો દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના રહેવાસીમૃતક યુવકોની ઓળખ વિજય બાબુભાઈ મેળા અને ગોવિંદ મનુભાઈ ડામોર તરીકે થઈ છે. આ બન્ને યુવાનોની ઉંમર અંદાજિત 25 થી 30 વર્ષની હતી અને તેઓ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના રહેવાસી હોવાનું જાણવા મળેલ છે. જમીનની અંદર રહેલા વીજ વાયરના સંપર્કમાં આવી ગયાપ્રાથમિક માહિતી મુજબ, અંડરગ્રાઉન્ડ કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન જમીનની અંદર રહેલા વીજ વાયરના સંપર્કમાં આવી જવાથી આ કરૂણ ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ તિલકવાડા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યાબન્ને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે તિલકવાડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દુઃખદ ઘટનાને પગલે મૃતકોના પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયો છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
લોકોના આધારકાર્ડ અને પાનકાર્ડ જેવા ડોક્યુમેન્ટ મેળવીને કરોડો રૂપિયાની પર્સનલ લોનના નામે પૈસા લઈ છેતરપિંડી કરવામાં આવી હોવા અંગેની ફરિયાદ અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધવામાં આવી છે. નોકરિયાત અને વેપારી લોકોને પોતાની વેપારીની ઓળખ આપીને બેંકમાં સારું સેટિંગ છે, પર્સનલ લોન કરાવી લાખો કરોડો રૂપિયાની લોન લેવામાં આવતી હતી. જે બાદ થોડો સમય હપ્તા ભરી અને ત્યારબાદ પૈસા આપવામાં આવતા નહોતા. અનેક લોકો સાથે આ રીતે છેતરપિંડી કરી ઘર તેમજ ઓફિસ બંધ કરી ફરાર થઈ જતા યુવક વિરુદ્ધ આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાતા પોલીસે નિકોલના વિશાલ વોરા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીએ પોતાની ઓળખ વેપારી તરીકે આપી હતીનિકોલ વિસ્તારમાં આવેલા શ્રીનંદ ઇલાઇટમાં રહેતા અને ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ કંપનીમાં નોકરી કરતા મેહુલ સતાસિયાના ફ્લેટમાં વિશાલ વોરા નામનો વ્યક્તિ રહેતો હતો. પોતે વેપારી તરીકેની ઓળખ આપી હતી અને ફ્લેટમાં જ રહેતો હોવાથી મેહુલભાઈ તેમને ઓળખતા હતા. ઓગસ્ટ, 2024માં વિશાલે મેહુલભાઈને કહ્યું હતું કે, મારે ધંધામાં એક કરોડ રૂપિયાની જરૂરિયાત છે, જેથી તમે મદદ કરો. પરંતુ મેહુલભાઈએ કહ્યું હતું કે, મારી પાસે આટલા પૈસા નથી, જેથી વિશાલે ફરીથી તેમને કહ્યું હતું કે, મારુ બેંકોમાં સેટિંગ છે. તમારા ડોક્યુમેન્ટ આપો તો તમારા નામે પર્સનલ લોન લઈ લઉં અને લોનના હપ્તાહ હું ભરીશ. જે પણ ભવિષ્યમાં ધંધો થશે, તેના નફાના 50 ટકા આપણે વહેંચી લઈશું તેવી વાત કરી હતી. લોનના હપ્તા પણ પોતે ભરશે એવી વાત કરીને મેહુલભાઈને વિશ્વાસમાં લઈ લીધા હતા. સાત બેંકમાં ડોક્યુમેન્ટ આપી 52 લાખની લોન લીધીમેહુલભાઈએ તેમના પાનકાર્ડ આધારકાર્ડ લાઈટ બિલ અને રહેણાંકના પુરાવાઓ વિશાલને આપ્યા હતાં, જે તેમણે લોનના એજન્ટ રાહુલ શર્માને આપ્યા હતા. Hdfc, icici અને બંધન બેંક જેવી કુલ અલગ-અલગ સાત જેટલી બેંકોમાં ડોક્યુમેન્ટ આપ્યા હતાં અને તેમાંથી વેરિફિકેશન થયું હતું. તમામ બેંકોમાંથી કુલ 52 લાખ જેટલી લોન મંજૂર થઈ હતી, જે મેહુલભાઈના બેંક એકાઉન્ટમાં જમા થયા હતાં. ત્યારબાદ અલગ-અલગ ફોર્મ અને બેંક એકાઉન્ટમાં પૈસા વિશાલભાઈ ટ્રાન્સફર કરવાનું કહેતા તે પૈસા ટ્રાન્સફર કર્યા હતા. જે પૈસા ટ્રાન્સફર કર્યા બાદ હપ્તો ભરવાનો આવ્યો હતો, જેમાં અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી કુલ 7.79 લાખ રૂપિયા વિશાલભાઈએ હપ્તા પેટે આપ્યા હતા. લોનના હત્પા ન ભરતા છેતરપિંડીની ફરિયાદઓગસ્ટ, 2025માં છેલ્લે હપ્તો આપવામાં આવ્યો નહોતો, જેથી તેના ડ્રાઇવરને પૂછતા વિશાલભાઈને ઘણા બધા લોકો પૈસા માંગતા હતાં, જેથી બહારગામ ગયા હોવાનું જણાવ્યું હતું. જે બાદ તપાસ કરતા અલગ-અલગ લોકો પાસેથી લાખો કરોડો રૂપિયાની લોન પર્સનલ નામે ધંધામાં આર્થિક મદદના નામે વિશાલ વોરાએ મેળવી લીધી હતી. બાદમાં કોઈપણ પ્રકારના લોનના હપ્તા ભરવામાં આવ્યા નહોતા. જેને લઈને આ છેતરપિંડી કરવામાં આવતા આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિશાલ વોરા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મહેસાણામાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલયના ગુજરાત ઝોન દ્વારા સેવા કાર્યના 60 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વર્ષ 2025 હીરક જયંતિ રૂપે ઉજવાઈ રહ્યું છે. આ અંતર્ગત બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ હેઠળ મહેસાણા શહેરમાં આજે વિશેષ શાંતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શાંતિના સંદેશ સાથે પદયાત્રા યોજાઈઆ પદયાત્રામાં બ્રહ્માકુમારીઝના શ્વેત વસ્ત્રધારી રાજયોગી ભાઈ-બહેનો સામેલ શાંતિના સંદેશનો પ્રસાર કર્યો હતો.જે મૌન સાધના સાથે શાંતિને આત્માનો સ્વધર્મ અને માનવ સમાજની સર્વોત્તમ સંસ્કૃતિ ગણાવતા સંસ્થા અનુસાર આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ દરેક વ્યક્તિને શાંતિ તરફ પ્રેરિત કરવાનું છે. શાંતિયાત્રાનો મુખ્ય ઉદ્દેશ બ્રહ્માકુમારીઝ પીસ પેલેસથી પરત પેલેસ ફરી આ પદયાત્રા આજે સવારે 7 કલાકે જેલ રોડ સ્થિતિ બ્રહ્માકુમારીઝ પીસ પેલેસથી પ્રસ્થાન કરી દૂધ સાગર ડેરી, રાધનપુર ચોકડી, અમદાવાદ હાઈવેથી મોઢેરા ચોકડી, એસટી વર્કશોપ રોડ, ભમ્મરિયા નાળા, કૃષ્ણનો ઢાળ, તોરણવાળી માતાનો ચોક, ગોપીનાળા થઈને સવારે 8 કલાકે બ્રહ્માકુમારીઝ પીસ પેલેસ ખાતે પરત ફરી હતી.
ગોધરા તાલુકામાં ધારાસભ્ય સી.કે. રાઉલજીના હસ્તે કુલ 8.60 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ નવા રસ્તાઓ ગ્રામીણ વિસ્તારોમાં આંતરિક કનેક્ટિવિટી સુદ્રઢ બનાવશે, જેનાથી ખેડૂતો અને ગ્રામજનોને અવરજવરમાં સુવિધા મળશે. ધારાસભ્ય સી.કે. રાઉલજીની ભલામણને પગલે ગોધરા તાલુકાના પશ્ચિમ વિસ્તારના ગામો માટે મહત્વના રસ્તાઓ મંજૂર થયા છે. જેમાં ખાસ કરીને 3.60 કરોડ રૂપિયાના ખર્ચે બે મુખ્ય રસ્તાઓ બનશે. આમાં સામલી મુખ્ય રોડથી ઉગમના મુવાડા, દારૂનિયા થઈ સામલી ગામને જોડતો અંદાજિત 260 લાખ રૂપિયાનો રસ્તો અને 100 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર રામપુરા ડુંગરીથી પાણકિયા મુવાડી સુધીના રસ્તાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અન્ય 500 લાખ રૂપિયાના ખર્ચે મંજૂર થયેલા રસ્તાઓમાં નાકરેજી વાઘેશ્વરી મંદિરથી ડાભીયા પૂરા અમરેશ્વર તળાવને જોડતો રસ્તો, સાંપા માલગુણથી દેસાઈ આંટા સુધીનો રસ્તો, કોટડા બસ સ્ટેન્ડથી ટેકરા ફળિયા થઈ બાયપાસ સુધીનો રસ્તો તેમજ બખ્ખર ઓરવાડા પાક રોડ બસ સ્ટેન્ડથી વણઝારા ફળિયા થઈ ખેડમાતા સુધીના રસ્તાઓના કામોનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે. આ નવા રસ્તાઓ પૂર્ણ થવાથી ગ્રામજનોને આંતરિક મુસાફરીમાં સરળતા રહેશે. મુખ્ય રસ્તાઓ સાથે સીધું જોડાણ મળવાથી ખેતીના કામો અને પરિવહનમાં પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ થશે, જેનાથી ગ્રામીણ અર્થતંત્રને પણ વેગ મળશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય વિનોદ ભગોરા, તાલુકા પંચાયત પ્રમુખ રંજનબેન રાઠોડ, ભાજપ તાલુકા પ્રમુખ સંજય પટેલ, મહામંત્રી રામ ગઢવી, કિસાન મોરચા પ્રમુખ ખુમાનસિંહ ચૌહાણ, એસ.સી. મોરચા પ્રમુખ નારણ પરમાર, ખેડૂત અને સહકારી આગેવાન કનકસિંહ પરમાર તથા રાજુ ચૌહાણ સહિત સ્થાનિક તાલુકા સદસ્યો, સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
વલસાડના BLO દ્વારા 100 ડિજિટાઈઝેશન કામગીરી પૂર્ણ:પ્રાંત અધિકારીએ અસ્મિતાબેન પટેલનું સન્માન કર્યું
વલસાડ તાલુકામાં SIRની કામગીરી દરમિયાન એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. વલસાડ વિધાનસભા મતવિસ્તાર-179ના ભાગ નંબર 70, ઘડોઈ બુથ નંબર 2 પર ફરજ બજાવતા બુથ લેવલ અધિકારી (BLO) અસ્મિતાબેન પટેલે SIRના ફોર્મનું 100 ટકા ડિજિટાઈઝેશન નિર્ધારિત સમયમર્યાદા પહેલાં પૂર્ણ કર્યું છે. આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ વલસાડની મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી વિમલભાઈ પટેલના હસ્તે અસ્મિતાબેન પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રાંત અધિકારી વિમલભાઈએ અસ્મિતાબેનની સમયસર, જવાબદારીપૂર્વક અને કુશળતાપૂર્વક પૂર્ણ કરેલી કામગીરીને બિરદાવી હતી. તેમણે આ કાર્યને પ્રશંસનીય ગણાવ્યું હતું. સરકારી યોજનાઓમાં ડિજિટલ પ્રક્રિયાને વેગ આપવા માટે BLO દ્વારા કરાયેલ આ કામગીરી અન્ય લોકો માટે પણ પ્રેરણાદાયક બની રહેશે.
રાપરમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતા યાત્રા:ધારાસભ્ય સહિત નગરજનો મોટી સંખ્યામાં જોડાયા
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં ઉજવણી થઈ રહી છે. આ અંતર્ગત આજે રાપર વિધાનસભા વિસ્તારમાં એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કલ્યાણપર ખાતેથી આ પદયાત્રાને ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ માર્ચને જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, કાર્યક્રમના ઇન્ચાર્જ અમૃતભાઈ દવે સહિતના અગ્રણીઓએ પ્રસ્થાન કરાવ્યું હતું.આ એકતા પદયાત્રા કલ્યાણપરથી શરૂ થઈને લાલાસરી, હેલીપેડ વિસ્તાર, પ્રાગપર ચોકડી અને સલારીનાકા દેના બેંક ચોક ખાતેથી પસાર થઈ હતી, જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પદયાત્રાનું સમાપન સ્વામિનારાયણ મંદિર ખાતે થયું હતું. આ પદયાત્રામાં ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, મામલતદાર એચ.બી. વાઘેલા, ચીફ ઓફિસર તરુણદાન ગઢવી, પીઆઈ બી.જી. ડાંગર, રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા અને નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડે વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ, ભાજપના અન્ય આગેવાનો, આંગણવાડી કાર્યકરો, મિશન મંગલમ સખી મંડળો અને વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલના દેશની એકતા અને અખંડિતતામાં આપેલા યોગદાન અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ સહિતના અન્ય કાર્યક્રમો પણ યોજાયા હતા.આ યાત્રામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સરપંચો, તલાટીઓ અને સમગ્ર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજાએ કર્યું હતું.
પારડીમાં આયુષ મેળો અને મેગા કેમ્પ યોજાયો:નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં કાર્યક્રમ સંપન્ન
વલસાડ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા રવિવારે પારડીના ધીરૂભાઈ નાયક હોલ ખાતે આયુષ મેળો અને મેગા કેમ્પ યોજાયો હતો. રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ લોકોને આયુર્વેદ અપનાવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન આરોગ્ય સેવાઓ ઘરઆંગણે પહોંચાડવા પ્રયાસો કર્યા હતા. આજે 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેનાથી લોકોમાં આરોગ્ય જાગૃતિ વધી રહી છે. જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલે પ્રાકૃતિક ખેતી અને આયુર્વેદ અપનાવવાથી તંદુરસ્તી જળવાઈ રહે છે તેમ જણાવ્યું હતું. જિલ્લા આયુર્વેદ અધિકારી ઉર્વીબેન પટેલે સ્વાગત પ્રવચનમાં આયુર્વેદ, હોમિયોપેથી અને જીવનશૈલી પરિવર્તનનું મહત્વ સમજાવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા આયુર્વેદ શાખાના મેડિકલ ઓફિસરોને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહેમાનોએ આયુર્વેદ પ્રદર્શન, વનસ્પતિ, ઔષધીય આહાર અને રંગોળી સહિતના સંગ્રહોની મુલાકાત લીધી હતી. બાળકોને સુવર્ણપ્રાશન પણ કરાવવામાં આવ્યું હતું. આયુર્વેદનો સંદેશ લોકો સુધી પહોંચે તે માટે મંત્રી કનુભાઈ દેસાઈએ આકાશમાં રંગીન ફુગ્ગા ઉડાડ્યા હતા. આયુષ મેળામાં ચામડી, સ્ત્રીરોગ, બાળરોગ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને થાઇરોઈડ સહિતની અનેક બિમારીઓની તપાસ અને સારવાર નિષ્ણાત ડોકટરો દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં VIA પ્રમુખ સતીશ પટેલ સહિત અનેક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
સુરત શહેરમાં અણુવ્રતદ્વાર ઓવરબ્રિજ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 28 વર્ષીય એક મહિલાનો મૃતદેહ બ્રિજથી આશરે 60 ફૂટ નીચેથી મળી આવ્યો છે. ઘટનાસ્થળે બ્રિજ પરથી એક OLA મોપેડ પણ મળી આવતાં, મહિલાએ આત્મહત્યા કરી છે કે પછી કોઈ અકસ્માત સર્જાયો છે, તે અંગેનું રહસ્ય ઘેરું બન્યું છે. હાલમાં મહિલાના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે ઉંડાણપૂર્વક તસાપ શરૂ કરી છે. TRB જવાનને જાણ થતાં જ 108ને જાણ કરીપ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના અણુવ્રતદ્વાર વિસ્તાર પાસેના ઓવરબ્રિજ પરથી એક OLA મોપેડ મળી આવી હતી. જ્યારે બ્રિજથી 60 ફૂટ નીચે એક 28 વર્ષીય ઉષા જૈન નામની મહિલા ગંભીર હાલતમાં લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. અણુવ્રતદ્વાર પાસે ફરજ પર હાજર TRB (ટ્રાફિક બ્રિગેડ) જવાનની નજર આ ઘટના પર પડતાં તેણે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. TRB જવાનની મદદથી મહિલાને તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ મહિલાને મૃત જાહેર કરી હતી. મહિલા કેવી રીતે નીચે પટકાઈ તેને લઈ પોલીસની તપાસબ્રિજ પરથી OLA ગાડી મળી આવતાં ટ્રાફિક પોલીસે સૌપ્રથમ મહિલાના પર્સના ડોક્યુમેન્ટ આધારે ગાડીના પરિવારજનોને જાણ કરી હતી. જોકે, મહિલાનું મૃત્યુ કયા સંજોગોમાં થયું તે એક મોટો સવાલ છે. મૃતક મહિલા ઉષા જૈને બ્રિજ પરથી કૂદીને આત્મહત્યા કરી છે કેમ? અથવા ઓવરબ્રિજ પર કોઈ અકસ્માત સર્જાતા તે નીચે પટકાયા છે કે કેમ? આ બંને શક્યતાઓ અંગે હાલ કોઈ સ્પષ્ટતા નથી. ઘટનાની ગંભીરતા જોતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે OLA ગાડી અને અન્ય પુરાવાઓના આધારે વધુ તપાસ હાથ ધરી છે. મહિલાના મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. મૃતક મહિલા વેસુમાં કાફે ચલાવતા હતાંસિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે, 28 વર્ષીય ઉષા જૈનનું ઉપરથી નીચે પટકાવવાને લઈને માથામાં ગંભીર ઇજાઓથી મોત નીપજ્યું હતું. સુરતના વેસુ વિસ્તારમાં 28 વર્ષીય ઉષા હેમંતભાઈ જૈન પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં પતિ, દીકરો અને દીકરી છે. પતિ કાપડ માર્કેટમાં વેપારી તરીકે કામ કરે છે અને ઉષાબેન વેસુ વિસ્તારમાં જ કાફે ચલાવતા હતા. ઉષાબેનના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. આ સાથે તેમનું મોત કઈ રીતે થયું તેને લઈને પણ મૂંઝવણમાં છે.
પાટણમાં ચાલુ વર્ષે પ્રથમ પુરુષ નસબંધી કરાઈ:NSV પખવાડિયા અંતર્ગત પુરુષોને નસબંધી કરાવવા અપીલ
પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે પ્રથમ પુરુષ નસબંધી (NSV) ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. જિલ્લામાં પુરુષ નસબંધી પખવાડિયાની ઉજવણી ચાલી રહી છે, ત્યારે આ સિદ્ધિ નોંધાઈ છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ 21 નવેમ્બરથી 4 ડિસેમ્બર, 2025 દરમિયાન પુરુષ નસબંધી પખવાડિયાની ઉજવણી થઈ રહી છે. કુટુંબ નિયોજનમાં પુરુષોની ભાગીદારી વધારવા માટે આ પખવાડિયાનું આયોજન કરાયું છે. નોંધનીય છે કે ચાલુ વર્ષે પાટણ જિલ્લામાં અત્યાર સુધી એક પણ પુરુષ નસબંધીનો કેસ નોંધાયો ન હતો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-રણુંજ, સબસેન્ટર-ખીમીયાણા, તાલુકો-પાટણ ખાતે ફરજ બજાવતા આરોગ્ય કર્મચારી દિલીપભાઈ ચૌધરીએ એક લાયક દંપતીને પુરુષ નસબંધી ઓપરેશન કરાવવા માટે સમજાવ્યા હતા. આ દંપતીએ ધારપુર મેડિકલ કોલેજ ખાતે સફળતાપૂર્વક NSV ઓપરેશન કરાવીને સરાહનીય કામગીરી કરી છે. આ ઓપરેશન કરાવનાર લાભાર્થીને સરકાર દ્વારા ₹2000/- ની પ્રોત્સાહક રકમ ચૂકવવામાં આવે છે. પુરુષ નસબંધી માટે પુરુષની ઉંમર 22 થી 60 વર્ષની હોવી જોઈએ. દંપતીને એક કે તેથી વધુ બાળકો હોવા ફરજિયાત છે અને પત્નીની સંમતિ પણ જરૂરી છે. આ ઓપરેશનમાં કોઈ ટાંકા લેવામાં આવતા નથી અને દર્દીને તરત જ રજા આપવામાં આવે છે. ઓપરેશન પછી સાત દિવસ સુધી સાયકલ ચલાવવાની મનાઈ હોય છે. મહત્વનું છે કે આ ઓપરેશન કરાવ્યા બાદ પુરુષત્વ કે જાતીય ક્ષમતામાં કોઈ ફેર પડતો નથી. જરૂર જણાય તો આ ઓપરેશન ખોલાવી પણ શકાય છે. લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે અને પુરુષોની ભાગીદારી વધે તે માટે આરોગ્ય તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. કોઈપણ લાભાર્થીને પુરુષ નસબંધી ઓપરેશન અંગે માહિતી જોઈતી હોય તો નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
8 વર્ષથી ફરાર બળાત્કાર-અપહરણનો આરોપી પકડાયો:ભરૂચ પેરોલ-ફર્લો સ્ક્વોડે અજમેરથી ઝડપ્યો
ભરૂચ પેરોલ-ફર્લો સ્ક્વોડે બળાત્કાર અને અપહરણના ગુનામાં છેલ્લા આઠ વર્ષથી ફરાર આરોપીને રાજસ્થાનના અજમેર બસ સ્ટેન્ડ પરથી ઝડપી પાડ્યો છે. આરોપી સજા ભોગવી રહ્યો હતો અને પેરોલ જમ્પ કરીને ભાગી ગયો હતો. યુનુશ અલી ઉસ્માનગની વ્હોરા (રહે. ઘાસમંડાઈ, મુલ્તાનીવાડ, ભરૂચ) ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં દોષિત હતો. અમદાવાદની અધિક સત્ર ન્યાયાલય, કોર્ટ નં. 15 દ્વારા તેને 29 સપ્ટેમ્બર, 2014ના રોજ સાત વર્ષની સખ્ત કેદની સજા ફટકારવામાં આવી હતી. તે અમદાવાદ મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યો હતો. આરોપી 31 ઓગસ્ટ, 2017 થી 11 સપ્ટેમ્બર, 2017 સુધી 10 દિવસની પેરોલ રજા પર છૂટ્યો હતો. જોકે, પેરોલ અવધિ પૂરી થયા બાદ તે જેલમાં હાજર ન થઈને ફરાર થઈ ગયો હતો. તેના વિરુદ્ધ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રિઝન એક્ટ 51(એ)(બી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ સબ-ઇન્સ્પેક્ટર આર.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ-ફર્લો સ્ક્વોડની ટીમ આરોપીની શોધખોળ કરી રહી હતી. એ.એસ.આઈ. મગન દોલાભાઈને મળેલી બાતમીના આધારે જાણવા મળ્યું કે આરોપી રાજસ્થાન આવી રહ્યો છે. આ માહિતીના આધારે, ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને અજમેર બસ સ્ટેન્ડ પર સફળતાપૂર્વક કોર્ડન ગોઠવી આરોપીને પકડી પાડ્યો. આરોપીને BNSS કલમ 35(1)(J) મુજબ અટક કરીને આગળની કાર્યવાહી માટે ભરૂચ શહેર બી વિભાગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
વલસાડ S.O.G.એ ભીલાડમાંથી ગાંજો ઝડપ્યો:દોઢ લાખથી વધુનો જથ્થો જપ્ત, બે આરોપીઓની ધરપકડ
વલસાડ S.P. યુવરાજસિંહ જાડેજાના આદેશ બાદ S.O.G. ટીમે નશાના નેટવર્ક પર કાર્યવાહી કરી છે. ભીલાડના બોરીગામ વિસ્તારમાં ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી ગેરકાયદેસર ગાંજાના વેચાણનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે રૂ. 1.91 લાખથી વધુનો ગાંજો જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે સ્થળ પરથી ભાવેશભાઈ રામુભાઈ ધોડી (ઉં.વ. 25) અને સુરજ રાધેશ્યામ કનોજીયા (ઉં.વ. 21) નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 3.835 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે, જેની બજાર કિંમત રૂ. 1,91,750/- આંકવામાં આવી છે. ગાંજા ઉપરાંત, પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ. 21,200/- અને ત્રણ મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા હતા. આ તમામ મુદ્દામાલનું કુલ મૂલ્ય રૂ. 2,33,250/- થાય છે. S.O.G. પી.આઇ. એ.યુ. રોઝ અને તેમની ટીમે બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ 1985ની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ પોલીસે નશાખોરી સામેની લડાઈમાં આ સફળતા મેળવી છે.
અક્ષર ફાર્મમાં ભવ્ય-દિવ્ય નગરનું ઉદ્ઘાટન થયું:વોટર-ઇમર્સિવ શો આકર્ષણનું કેન્દ્ર બન્યા
આણંદ BAPS સ્વામિનારાયણ મંદિરના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આણંદ મંદિર રજત જયંતિ મહોત્સવનો પ્રારંભ થયો છે. આ ઉપક્રમે અક્ષર ફાર્મમાં ભવ્ય નગરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ 23 થી 28 નવેમ્બર સુધી ચાલશે. આ નગરમાં આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને પારિવારિક મૂલ્યોને ઉજાગર કરતા વિવિધ શો જોવા મળશે. તેમાં વ્યસનમુક્તિ પ્રદર્શન, બાળ નગરી, બાળકોની કુટેવ-સુટેવની પ્રસ્તુતિ અને મોબાઈલની માયાજાળમાંથી મુક્તિની પ્રેરણા આપતો પિંજર સંવાદનો સમાવેશ થાય છે. મહોત્સવમાં વોટર શો અને ઇમર્સિવ શો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ કાર્યક્રમોનો લાભ દરરોજ સવારે 9 થી 4 અને સાંજે 5 થી 9 દરમિયાન લઈ શકાશે. શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને પરિવારો માટે આ એક અમૂલ્ય અવસર છે. આ ઉપરાંત, દરરોજ સાંજે 5:30 થી 8 દરમિયાન પ્રેરક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કોઠારી પૂજ્ય યજ્ઞસેતુ સ્વામીએ સૌને આ કાર્યક્રમોનો લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે.
ગુજરાત કોંગ્રેસ દ્વારા ખેડૂતો અને લોકોની સમસ્યાઓને ઉજાગર કરવા માટે જન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા વાવ થરાદ જિલ્લાના ઢીમા ધરણીધરથી શરૂ થઈને ગતરોજ ઈકબાલગઢ પહોંચી હતી. જ્યાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપનું નામ લીધા વગર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, કોઈપણ સરકારી ઓફિસમાં 'દક્ષિણા' આપ્યા વગર કોઈ કામ થતું નથી અને જે હપ્તા ઉઘારવવામાં આવે છે તેની તિજોરી ભરનારા ગાંધીનગરમાં બેઠા છે'. 'આપણા મતથી સત્તા પર બેઠેલા આપણી વાત સાંભળતા નથી'ઈકબાલગઢમાં એક જાહેર સભાને સંબોધતા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આપણા મતથી સત્તા પર બેઠેલા કે આપણા પૈસે પગાર લેનારા પણ આપણી વાત સાંભળતા નથી. કોઈપણ ઓફિસમાં જાવ જ્યાં સુધી દક્ષિણા ન આપો ત્યાં સુધી કોઈ કામ થતું નથી. 'હપ્તો લેતી હોવાથી પોલીસને દારૂ ક્યા મળે છે તેની જાણ નથી'અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે, યાત્રા દરમિયાન એક ગામમાં મહિલાઓએ ફરિયાદ કરી હતી કે, અહિં પિવાનું પાણી નથી મળતું પરંતુ દારુ જોઈએ એટલો મળે છે. ચાવડાએ દાવો કર્યો કે, જ્યારે આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી ત્યારે પોલીસે દારૂ ક્યાં મળે છે તેની જાણ ન હોવાનું જણાવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો કે, પોલીસ હપ્તો લેતી હોવાથી તેમને ખબર નથી પડતી. 'તિજોરી ભરવાવાળા તો ગાંધીનગરમાં બેઠા છે'વધુમાં જણાવ્યું કે, એક પોલીસકર્મીએ તો કહ્યું હતું કે, તેઓ હપ્તો ઉઘરાવે છે, પરંતુ તે સીધો ગાંધીનગર જાય છે અને તેમના ભાગમાં બહુ ઓછું આવે છે. ગાંધીનગરવાળા જો ઈચ્છે તો આ બધુ બંધ થઈ જાય. પણ આ તો ઉઘરાવવા વાળા છે, તેની તિજોરી ભરવાવાળા તો ગાંધીનગરમાં બેઠા છે. અમિત ચાવડાએ કહ્યું કે, બીજા એક ગામમાં ગયા ત્યા ગરીબ લોકોએ કહ્યું કે, સાહેબ અમને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ મંજૂર કરાયું પણ તલાટીએ ફોર્મ મંજૂર કરવાના 10 હજાર લીધા હતા. આ અંગે 40 લોકોએ સહી કરીને એક વર્ષથી તેઓ ફરિયાદ કરે છે. કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પાલનપુરમાં પહોંચીઆગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ આ યાત્રા દ્વારા છેવાડાના લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. આ યાત્રા થરાદ, લાખણી, ધાનેરા, ઈકબાલગઢ થઈને આજે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પહોંચી હતી. ખેડૂતોને પડતી મુશ્કેલીઓ, મોંઘવારી અને ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ સાથે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અને સ્થાનિક નેતાઓ આ જન આક્રોશ યાત્રામાં જોડાયા હતા. પાલનપુરમાં અમિત ચાવડાના હસ્તે કોંગ્રેસના નવીન કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું.
મંત્રી રિવાબા જાડેજાએ SIR કામગીરીની મુલાકાત લીધી:જામનગરના વોર્ડ-6 માં સ્થળ પર સમીક્ષા કરી
જામનગર શહેરમાં ચાલી રહેલી SIR કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે રાજ્યના મંત્રી રિવાબા જાડેજાએ વોર્ડ નંબર-6 ની મુલાકાત લીધી હતી. સરકારના નેતાઓ અને મંત્રીઓ દ્વારા આવા વિસ્તારોની સતત મુલાકાતો લેવામાં આવી રહી છે. આ મુલાકાત દરમિયાન, મંત્રીએ સ્થળ પર ચાલી રહેલી કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે સ્થાનિક નાગરિકો સાથે સીધી વાતચીત કરીને તેમના પ્રશ્નો અને સૂચનો સાંભળ્યા હતા. રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે સરકારની કામગીરીમાં લોકોનો સંપૂર્ણ સહકાર અત્યંત જરૂરી છે. તેમણે વિસ્તારના સ્થાનિક આગેવાનોને અપીલ કરી હતી કે તેઓ લોકો સુધી યોગ્ય માહિતી પહોંચાડે અને કામગીરી દરમિયાન નાગરિકોને સહાયરૂપ બને. આ ઉપરાંત, તેમણે ફરજ પર હાજર અધિકારીઓ અને કર્મચારીઓ સાથે કાર્યપ્રગતિની સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનો પણ આપ્યા હતા.
હિંમતનગર: સાબરકાંઠા પોલીસ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (DLSA)ના સંયુક્ત ઉપક્રમે હિંમતનગરની GMERS મેડિકલ કોલેજ ખાતે કાનૂની જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય GMERS મેડિકલ કોલેજના તબીબી વિદ્યાર્થીઓ, ઇન્ટર્ન અને ફેકલ્ટી સભ્યોમાં કાનૂની સાક્ષરતા ફેલાવવાનો હતો. આ કાર્યક્રમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ (IPS), પોલીસ અધિક્ષક, સાબરકાંઠા અને જિલ્લા જાગૃતિ યોજના સમિતિ (NALSA)ના સભ્ય, તેમજ સી.પી. ચારણ, જજ (સચિવ), DLSA, સાબરકાંઠાની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે કુલદીપ નાયી, નાયબ પોલીસ અધિક્ષક અને GMERS મેડિકલ કોલેજના ડીન પણ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા યુવા તબીબી વિદ્યાર્થીઓને તેમના કાનૂની અધિકારો, ફરજો, POCSO એક્ટ, સાયબર ક્રાઈમ અને નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ (NDPS) એક્ટ જેવા મહત્ત્વપૂર્ણ કાયદાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, NALSA હેઠળની યોજનાઓ અને મફત કાનૂની સહાયના અધિકાર વિશે પણ સંવાદ કરી જાગૃત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને મેડિકલ કોલેજના અધ્યાપકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સેમિનારે યુવા તબીબી વિદ્યાર્થીઓને કાનૂની જ્ઞાન, નિવારક જાગૃતિ અને ન્યાય મેળવવાની પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપી સશક્ત બનાવ્યા. આ કાર્યક્રમ સાબરકાંઠા જિલ્લામાં એક જાણકાર, જવાબદાર અને કાનૂની રીતે જાગૃત યુવા સમુદાયના નિર્માણ તરફનું એક મહત્ત્વપૂર્ણ પગલું છે. પોલીસ, ન્યાયતંત્ર અને તબીબી ક્ષેત્રના વિદ્યાર્થીઓ વચ્ચે કાયદા અને ન્યાય પ્રણાલી વિશે સફળ સંવાદ સંપન્ન થયો હતો.
રાજકોટના મવડી વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે ઘર પાસે રાખેલી ભાડાની મોંઘીદાટ કારમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી અને જોતજોતામાં કાર આગમાં ખાખ થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડનો સ્ટાફ ત્યાં પહોંચે તે પહેલા જ સ્થાનિકોએ આગ બુઝાવી નાખી હતી. જોકે આગ કયા કારણોથી લાગી અને કેટલું નુકશાન થયું તે હજુ જાણવા મળ્યું નથી. પરિવારજનોનો આક્ષેપ છે કે ભાડે લીધેલી વરના કાર ઘર પાસે રાખી હતી. શુક્રવારે 2 શખ્સો આવી કારના કાચ ફોડી ગયા હતા અને બાદમાં શનિવારે રાત્રે આ કાર આગમાં ખાખ થઈ ગઈ. જેથી આ આગ જાણીજોઈને કોઈએ લગાવી હોવાનો આક્ષેપ છે. રાજકોટના મવડી મેઈન રોડ ઉપર શાક માર્કેટ આગળ ખીજડાવાળા ચોક પાસે ચામુંડાનગર શેરી નંબર -1 માં ફોર વ્હીલર કારમાં આગ લાગતા મવડી ફાયર વિભાગમાં કોલ આવ્યો હતો. જેથી ફાયર બ્રિગેડની ગાડી સ્ટાફ સાથે ત્યાં પહોંચી ગઈ હતી જોકે ત્યાં સુધી પણ સ્થાનિકો દ્વારા કારમાં લાગેલી આગ બુઝાવી દેવામાં આવી હતી. જોકે આગનું કારણ જાણવા મળ્યું નથી. આ દરમિયાન પોલીસની 112 જનરક્ષક પણ ત્યાં પહોંચી ગઈ હતી. આગને કારણે કારમાં કેટલું નુકસાન થયું તે પણ હજુ જાણવા મળ્યું નથી. ચામુંડાનગરમાં ઘર પાસે જ પડેલી GJ 06 MD 9917 નંબરની કારમાં શનિવારે મોડી રાત્રે આગ ભભૂકી ઉઠતા ફરિયાદી જ્યોત્સનાબેન રાઠોડ સહિતના જાગી ગયા હતા અને ઘરમાંથી બહાર નીકળ્યા હતા. જોકે જોતજોતામાં પૂરી કાર સળગી ઉઠી હતી. જે અંગે ફાયર બ્રિગેડ વિભાગને કોલ કરવામાં આવતા રાત્રે 2.46 એ એક ફાયર ફાઇટર સાથે સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો જોકે ત્યાં સુધીમાં સ્થાનિકોએ આગ બુઝાવી નાખી હતી. પરિવારજનોનો આક્ષેપ છે કે, શુક્રવારે બે શખ્સો કારના કાચ તોડી નાસી ગયા હતા. બહારગામ જવા માટે જેમની પાસેથી કાર ભાડે લીધેલી હતી તેમની સાથે બંને શખ્સોને વાંધો હોવાથી તેમણે કાચ ફોડી નાખ્યા હતા અને શનિવારે રાત્રે અમે સુતા હતા ત્યારે અચાનક કારમાં આગ લાગી હતી અને કાર આગમાં ખાખ થઈ. માત્ર ખોખું જ રહ્યુ છે. જેથી કોઈએ આગ લગાવી છે. માલવિયા નગર પોલીસ મથકમાં આ અંગે જાણકારી છે પરંતુ હજુ સુધી ત્યાંથી કોઈ જવાબ આવ્યો નથી
રાજકોટના વેપારી સાથે જિલ્લા ભાજપ પ્રમુખ સહિત 5 શખ્સો દ્વારા શેર બજાર અને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે રૂ.4.28 કરોડની છેતરપિંડીની ઘટનામાં નવો ફણગો ફૂટ્યો છે. વેપારી દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા સામે ગંભીર આક્ષેપો કરાયા છે. જેમાં મધ્યસ્થી રહેલા હરી પટેલને અલ્પેશભાઈએ ભાજપ કાર્યાલયે બોલાવી બેઠક કરી ગર્ભિત ધમકીઓ આપી હતી તો અમુક રકમ ભાજપના પાર્ટી ફંડમાં ગઈ હોવાનું કહ્યું હતુ. જ્યારે ભાસ્કરે અલ્પેશ ઢોલરિયા સાથે ટેલિફોનિક સંપર્ક સાધતાં તેને કહ્યું કે, હું વેપારી સામે માનહાનીનો દાવો કરીશ. વેપારીનો જિલ્લા BJP પ્રમુખ સામે ગંભીર આક્ષેપોરાજકોટના મવડી મેઈન રોડ પર રહેતા વેપારી મહેશ હિરપરાએ જણાવ્યું હતું કે, મુંબઈમાં રહેતા હરિભગત અમારા પાર્ટનર છે અને મારા સાળાના રિલેશનમાં છે. મુંબઈમાં તેમનો મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ છે. ગત માર્ચ 2025માં અમારી પાસે એવી વાત આવે છે કે ફોરેનમાં પૈસાનું રોકાણ કરીને સારું એવું વળતર મેળવી શકાય તેમ છે. જે દસ દિવસમાં 10% નું વળતર મેળવી આપે છે. BKC બિલ્ડીંગના પાછળના ભાગમાં આ સમગ્ર વહીવટ થાય છે. દર્પણ બારસીયા દ્વારા આ વહીવટ ચલાવવામાં આવે છે. ફરિયાદમાં પરેશ ઢોલરીયાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે તે ફોરેનમાં રોકાણ કરાવનારી પાર્ટી છે. જેમાં રોકાણ માટે પૈસા આપ્યા બાદ પરત વળતર આવતું નથી. 'દર્પણ બારસીયા ત્યાં મારામારી કરે છે'વેપારીએ વધુમાં કહ્યું કે, જેથી ગૌતમ બારસીયાની આર.કે. પ્રાઈમ ઓફિસે હરી પટેલને બોલાવવામાં આવે છે. જ્યાં રૂ.4,28,46,000 નું વળતર લેવાની વાત કરવામાં આવે છે. જ્યાં દર્પણ બારસિયા પણ હાજર હોય છે. જોકે દર્પણ બારસીયા ત્યાં મારામારી કરે છે અને ત્યાંથી હરિ પટેલ સહિતનાને કાઢી મૂકે છે. જે બાદ દર્પણ બારસીયા એવું કહે છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા અમારા પાર્ટનર છે અને તેઓ પણ આમાં છે એટલે જો તમે આ મેટરમાં કંઈ કરશો તો તમારે પૈસા ખોવાનો વારો આવશે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મીટીંગ તેને વધુમાં ઉમેરતાં જણાવ્યું કે, જે બાદ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ દ્વારા અલ્પેશ ઢોલરીયા ને ફોન કરવામાં આવે છે તો ફોન ઉપર એક તેઓ એવું કહે છે કે અમારા છોકરાને તેની પાસેથી રૂ. 2 કરોડ લેવાના છે. તે સમયે હરી પટેલ એવું કહે છે કે જો પૈસા દેવાના બાકી હશે તો તે આપી દેશે. જે બાદ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મીટીંગ માટે બોલાવવામાં આવે છે પરંતુ કોઈ કારણોસર ત્યાં મીટીંગ કેન્સલ થાય છે અને ત્યારબાદ અલ્પેશ ઢોલરીયા ગોંડલ રોડ ઉપર આવેલા ભાજપના કાર્યાલયે બોલાવે છે અને તેને પોતાની ઓફિસ ગણાવે છે. જ્યાં મીટીંગ દરમ્યાન અલ્પેશ ઢોલરીયા ગર્ભિત ધમકીઓ આપે છે અને આમાંથી અમુક રકમ પાર્ટી ફંડમાં ગઈ હોવાનું જણાવે છે અને પૂરી રકમ મળવા પાત્ર નથી તમારે અમુક રકમનું સેટિંગ કરવું હોય તો કરાવી આપીશ તેવું કહે છે. 'દોઢ કલાક મિટિંગ શેના માટે થઈ હતી ?'આ ઉપરાંત ઢોલરીયા માનહાનીનો દાવો કરવાના છે તે અંગે પૂછતા વેપારી મહેશ હિરપરાએ જણાવ્યું હતું કે, જો અલ્પેશભાઈ મારા ઉપર 10 કરોડનો દાવો કરવાના હોય તો મારે એટલું જ કહેવાનું છે કે ગોંડલ રોડ ઉપર ભાજપ કાર્યાલયમાં હરી પટેલ સાથે દોઢ કલાક સુધી મિટિંગ થઈ હતી તે શેના માટે થઈ હતી ? અલ્પેશભાઈનો ઇરાદો ગર્ભિત ધમકીઓ આપીને રકમ પચાવી પાડવાનો હતો. 'સારો પ્રોફિટ મળશે તેવું કહી 8 લાખનું રોકાણ કરાવ્યું'ઉલ્લેખનીય છે કે વેપારી દ્વારા પોલીસ કમિશનર સમક્ષ ગઈકાલે જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા, દર્પણ બારસિયા, પરેશ ડોબરીયા, ગૌતમ બારસિયા અને સંદીપ સેખલિયા સામે અરજી કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, આરોપીઓએ સાત મહિના પહેલા મુંબઈમાં ડ્રેસ મટીરીયલનું કામકાજ કરતા હરિકૃષ્ણ પટેલ દ્વારા સાળા નિલેશ વેકરીયા અને મારો સંપર્ક કરેલો હતો. શેર બજાર અને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાથી સારો એવો પ્રોફિટ મળશે તેવું કહી રૂ.8 લાખનું રોકાણ કરાવ્યું હતું. જે બાદ તે રકમ થોડા દિવસોમાં પરત આપી દીધી હતી. '4.28 કરોડ મુંબઈ હરિ પટેલને આપવા પહોંચ્યા'જે બાદ આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરાને પાર પાડવા જણાવ્યું હતું કે જો 1 મિલિયન ડોલર એટલે કે રૂ.8 કરોડ ઇન્વેસ્ટ કરવામાં આવે તો બે દિવસમાં 10 ટકા વળતર મળે તેમ છે. જેથી આ રકમ ત્રણ દિવસમાં પરત આપી દેવા જણાવ્યું હતુ. જેથી નિખિલ સોરઠીયા, નીલેશ વેકરીયા, નાનજીભાઈ હિરપરા, રાજુભાઈ પાંભર, મહેન્દ્ર હિરપરા અને વિશાલ આહીર પાસેથી તેમજ હરી પટેલ દ્વારા અન્ય લોકો પાસેથી ઉછીના લઈને કુલ રૂ.4,28,46,000 લઈ મુંબઈ હરિ પટેલને આપવા પહોંચ્યા હતા. 'આર. કે. પ્રાઈમની ઓફિસે બેઠક, ધમકી આપવામાં આવી'જ્યાં દર્પણ બારસિયાએ નાણા અમેરિકા એમ્બેસીની બાજુમાં BKC બિલ્ડિંગના પાર્કિંગમાં રકમ આપવાનું જણાવ્યુ હતું. જોકે આ બાદ ઘણા દિવસો સુધી રકમ પરત આપવામાં આવી ન હતી. જોકે આ દરમિયાન હરિ પટેલ દ્વારા રૂ.1 કરોડની ઉઘરાણી શરૂ થઈ ગઇ. જે બાદ આર. કે. પ્રાઈમમાં ગૌતમ બારસીયાની ઓફિસે બેઠક થઈ હતી. જેમાં અમને ધમકી આપવામાં આવી હતી કે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરિયા અમારા પાર્ટનર છે જેથી આ બાબતે કોઈને વાત કરી છે તો હાથ પગ ભાંગી નાખશું. જે બાદ હરિ પટેલ સાથે અમને ધક્કા મારી કાઢી મૂકવામાં આવ્યા હતા. 'જો રકમની માંગણી કરી છે તો જાનથી હાથ ધોઈ બેસિસ'તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અલ્પેશભાઈ દ્વારા હરી પટેલને ગર્ભિત ધમકીઓ આપવામાં આવી હતી કે આરોપીઓ સામે ન પડાય અને તેઓ મોટી લાગવગ ધરાવે છે અને ઊલટાનું તમારે વધુ રકમ ચૂકવવી પડશે એના કરતાં તમે તમારી રકમ ભૂલી જાવ અને મેટર પૂરી કરી દયો. નહિતર તમારી જિંદગી ગોટાળે ચડી જશે. આરોપીઓ દ્વારા કાલાવડ રોડ પર આવેલ શ્રીજી હોટેલ પાસે મળવા બોલાવ્યા અને ત્યાં દર્પણ અને તેના 10 જેટલા સાગરીતોએ ગાળાગાળી કરી હતી અને કહ્યું હતું કે હવે જો રકમની માંગણી કરી છે તો જાનથી હાથ ધોઈ બેસિસ. જેથી આ તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
વડોદરામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) દરમિયાન એક દુખદ ઘટના બની છે. લાંબા સમય સુધી લાઇનમાં ઊભા રહેવાને કારણે એક અરજદાર યુવકની તબિયત અચાનક લથડી ગઈ અને ખેંચ આવતાં તે ચક્કર ખાઈને જમીન પર પડી ગયો. આ ઘટનામાં યુવકના માથાના ભાગે ગંભીર ઈજા થતાં તે લોહીલુહાણ થઈ ગયો હતો. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી અને યુવકને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. એક યુવકને ખેંચ આવ્યા બાદ તે ઢળી પડ્યો હતોવડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલી મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ખાતે ચાલી રહેલી SIRની કામગીરી દરમિયાન એક યુવકને ખેંચ આવ્યા બાદ તે ઢળી પડ્યો હતો અને અને માથાના ભાગે ગંભીર ઈજા થતાં લોહીલુહાણ થઈ ગયો હતો. જેને પગલે આસપાસના લોકોએ તુરંત 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને તેને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાવામાં આવ્યો હતો. 2 કલાકથી લાઈનમાં ઊભો રહીને વારાની રાહ જોતો હતોવડોદરા સહિત રાજ્યભરમાં હાલ SIRની કામગીરી ચાલી રહી છે, વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળામાં પણ આ કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન એક યુવક 2 કલાકથી લાઈનમાં ઊભો રહીને પોતાનો વારો આવવાની રાહ જોઈ રહ્યો હતો. લાંબા સમય સુધી ઊભા રહેવાના કારણે તેને અચાનક ખેંચ આવી અને તે ચક્કર ખાઈને જમીન પર ઢળી પડ્યો હતો અને માથાના ભાગે વાગવાથી તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયો હતો. જેથી આસપાસના લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. જેના મારફતે યુવકને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ બનાવ સમયે હાજર કોંગ્રેસ અગ્રણી રોનક પરીખ ઉર્ફે ચમનભાઈએ વહીવટી તંત્રની કામગીરી પર આકરા પ્રહારો કર્યા હતા. સેન્ટરમાં લોકો માટે પાણી અને બેઠકની તો વ્યવસ્થા કરો - કોંગ્રેસ અગ્રણીકોંગ્રેસ અગ્રણી રોનક પરીખે જણાવ્યું હતું કે, 4 નવેમ્બરથી SIRની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં કેટલાક લોકો મૃત્યુ પામ્યા છે. શિક્ષકોને હાર્ટએટેક આવે છે. શિક્ષકો થાકી જાય છે. લોકો હેરાન પરેશાન છે. લોકોને મતદાર યાદીની પ્રક્રિયા અંગે સમજ નથી. BLOને પણ સમજ પડતી નથી. કલેક્ટર કોઇ જવાબ આપતા નથી. સાઇટ પણ ચાલુ રહેતી નથી. આજે એક વ્યક્તિ લાઇનમાં ઉભો હતો. એ ડાયાબિટીસનો દર્દી હતો અને એને ખેંચ આવી હતી અને બ્લડ પ્રેશર વધી ગયું હતું અને ધડામ દઇને નીચે પડી ગયો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મારી સરકારને અપીલ છે કે, જે સ્કૂલમાં કામગીરી થાય ત્યાં પાણીની અને બેઠકની વ્યવસ્થા કરવામાં આવે. અહીં લોકો બે-બે કલાકથી હેરાન-પરેશાન છે, પણ એક પણ ખુરશી અહીં મુકવામાં આવી નથી. કોઇ વ્યક્તિનું મોત ન થાય, તેનું ધ્યાન રાખવુ જોઇએ. ગઈકાલે જ BLO સહાયકની કામગીરી કરતા મહિલા કર્મચારીનું મોતઉલ્લેખનીય છે કે, ગઇકાલે વડોદરા શહેરની પ્રતાપ સ્કૂલમાં BLO સહાયક તરીકેની કામગીરી કરતાં એક મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન કરુણ મોત નીપજ્યું હતુ. BLO સહાયક કામગીરી દરમિયાન અચાનક ઢળી પડ્યાં હતાં. ત્યારબાદ હોસ્પિટલમાં ખસેડાતાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતાં. મૃતક મહિલાનું નામ ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી (ઉં.વ. 50) હતું, જેઓ ગોરવા મહિલા આઇટીઆઇ (ITI)ખાતે નોકરી કરતાં હતાં અને આજે સવારે કડક બજારમાં આવેલી પ્રતાપ સ્કૂલમાં ફરજ પર હતાં. ઉષાબેન સહાયક કામગીરી કરતાં હતાં એ દરમિયાન અચાનક ઢળી પડ્યાં હતાં. ત્યારબાદ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતાં. આ પણ વાંચો: વધુ એક BLO ઢળી પડ્યાં, 4 દિવસમાં 4નાં મોત:વડોદરામાં SIRની કામગીરી દરમિયાન શિક્ષકાનું મૃત્યુ, હાર્ટ-એટેકની આશંકા; પતિએ કહ્યું- 'તેમના પર કામનું ભારણ હતું'
બોટાદ જિલ્લામાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન BLO (બૂથ લેવલ ઓફિસર) ને મતદારો તરફથી અપૂરતી માહિતી, ફોર્મમાં અધૂરી વિગતો અને નેટ સર્વર ડાઉનની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આના કારણે BLOમાં નારાજગી જોવા મળી રહી છે અને તેઓ તંત્ર પાસે કામનું ભારણ ઓછું કરવા તથા સમયમર્યાદા વધારવાની માંગ કરી રહ્યા છે. BLO કવિતાબેન ખેતરીયાએ જણાવ્યું કે, મતદારો પાસેથી પૂરી માહિતી મળતી નથી અને ફોર્મ પણ અધૂરા ભરીને આપવામાં આવે છે. ઉપરાંત, નેટ સર્વર ડાઉન રહેવાથી કામગીરીમાં અવરોધ ઊભો થાય છે. તેમણે ઉમેર્યું કે તંત્ર દ્વારા કામગીરીનું દબાણ વધુ છે અને જો વધુ સમય મળે તો તેઓ અસરકારક રીતે કામ પૂર્ણ કરી શકે. જોકે, આ મુશ્કેલીઓ વચ્ચે મતદારોએ BLOની કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો છે. સ્થાનિક મતદારોએ જણાવ્યું કે BLOની કામગીરી સારી છે અને તેઓ ફોર્મ ભરવામાં પણ મદદ કરે છે. ગઢડા તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મહામંત્રીએ પણ BLOની મુશ્કેલીઓને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે મતદારો પૂરી માહિતી ન આપતા હોવાથી અને નેટ સર્વર ડાઉન રહેવાથી BLOને ફોર્મ ભરવામાં ઘણી તકલીફો પડી રહી છે. તેમણે સરકારને સમયમર્યાદા વધારવા અને BLO પરથી કામનું ભારણ ઓછું કરવાની માંગ કરી હતી. આ બાબતે અગાઉ આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું.
રાજ્ય સરકાર દ્વારા બાળકોના શિક્ષણ માટે મહેસાણા જિલ્લામાં એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ માત્ર સ્થાનિક બાળકો માટે જ નહીં, પરંતુ એક એવા સમુદાય માટે આશાનું કિરણ બની છે, જેનો જન્મ તો પાકિસ્તાનમાં થયો છે પણ શિક્ષણ ગુજરાતની ઘરતી પર મેળવી રહ્યાં છે. લાંબા સમયથી લોંગ ટર્મ વીઝા (LTV) પર અહીં રહેતા પરિવારોના બાળકો પાકિસ્તાન છોડ્યા બાદ જે અધૂરું શિક્ષણ રહી ગયું હતું, તેને હવે ગુજરાતની સરકારી યોજનાઓ થકી પૂરું કરી રહ્યા છે. આ બાળકો ગુજરાતીમાં વાંચે છે, લખે છે અને ગણિતના દાખલા પણ ગણી શકે છે. લાખવડ ગામમાં વસતા પાકિસ્તાની બાળકો પણ અભ્યાસ કરે છેમહેસાણા જિલ્લાનું લાખવડ ગામ અહીંના એક વિશેષ ક્લાસરૂમમાં તમને એવા બાળકો જોવા મળશે, જેમના ચહેરા પર પોતાના વતનનો ત્યાગ કરવાનો દર્દ છે, પણ સાથે જ ભવિષ્ય બનાવવાનો સંકલ્પ પણ છે. આ એવા બાળકો છે જેમનો જન્મ પાકિસ્તાનમાં થયો છે અને અહીં તેઓ લોંગ ટર્મ વિઝા (LTV) પર આવેલા પરિવારના સભ્યો છે. પાકિસ્તાનમાં અધૂરું રહી ગયેલું શિક્ષણ હવે તેઓ ગુજરાતની સરકારી શાળાઓ થકી મેળવી રહ્યા છે. મહેસાણામાં આવા 13 વર્ગો ચાલી રહ્યા છેઆ બાળકો માટે રાજ્ય સરકાર દ્વારા સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ (STP) હેઠળ વિશેષ વર્ગો ચલાવવામાં આવી રહ્યા છે. આ પ્રોગ્રામ થકી એવા બાળકોને પદ્ધતિસરનું શિક્ષણ આપવામાં આવે છે, જેઓ કોઈ કારણસર શાળા છોડી ગયા હોય (ડ્રોપઆઉટ) અથવા ક્યારેય શાળાએ જઈ શક્યા ન હોય. મહેસાણામાં આવા કુલ 13 વર્ગો ચાલી રહ્યા છે, જે 9 મહિના સુધી ચાલે છે. મહેસાણા જિલ્લામાં આ સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામના વર્ગો થકી 132 બાળકો લાભ લઈ રહ્યા છે. આ સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ વર્ગોની વિશેષતા એ છે કે, તેમાં પાકિસ્તાની બાળકોની સાથે સ્થાનિક ડ્રોપઆઉટ બાળકો પણ અભ્યાસ કરી રહ્યા છે. ધોરણ 3થી 8ના આ તમામ બાળકો એક જ ક્લાસરૂમમાં બેસીને ગુજરાતી ભાષા, ગણિત અને અન્ય વિષયોનું જ્ઞાન મેળવી રહ્યા છે. સર્વે કરીને શાળાએ ન ગયેલા કે અભ્યાસ છોડી દીધેલા બાળકોને શોધીને તેમને આ પ્રોગ્રામમાં જોડવામાં આવે છે. આ બાળકોના શિક્ષણનો મુખ્ય હેતુ તેમને મુખ્ય પ્રવાહના શિક્ષણ સાથે જોડવાનો છે. ઉંમર પ્રમાણે તેને જે તે ધોરણમાં નિયમિત પ્રવેશ આપવામાં આવે છે. આ રીતે, પાકિસ્તાનથી આવેલા બાળકો માત્ર આશરો જ નહીં, પણ ભારતમાં પોતાના શિક્ષણ અને ભવિષ્ય માટે એક મજબૂત પાયો નાખી રહ્યા છે. હાલમાં મહેસાણા જિલ્લામાં આ STPના વર્ગો થકી 132 બાળકો લાભ લઈ રહ્યા છે, જેમાં પાકિસ્તાની બાળકો પણ સામેલ છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી શરદ ત્રિવેદીએ જણાવ્યું કે, આપણે દર વખતે સમગ્ર શિક્ષા દ્વારા સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ કરી અને વર્ગો ચલાવતા હોઈએ છીએ. જે વર્ગો દ્વારા શાળા બહારના બાળકો કે કોઈ કારણસર શાળાએ જઈ શક્યા નથી, સ્થળાંતરના કારણે કે અન્ય કોઈ કારણસર એવા બાળકો કે જે મુખ્ય પ્રવાહના શિક્ષણથી વંચિત છે, એવા બાળકો માટે આપણે મુખ્ય પ્રવાહમાં ફરીથી જોડાઈ શકે અને ભારત સરકારના મફત અને ફરજિયાત શિક્ષણનો લાભ લઈ શકે તે હેતુથી આવા STP વર્ગો આપણે નવ મહિના ચલાવતા હોઈએ છીએ. અને જેના આધારે બાળકોને મેઈન સ્ટ્રીમમાં લાવવા માટે પરીક્ષા લઈ અને પછી મેઈન સ્ટ્રીમમાં લાવતા હોઈએ છીએ. આ આખી પ્રોસેસમાં એવું હોય છે કે, જો આજુબાજુના વિસ્તારમાં સર્વે કરવાના કારણે શાળાએ ન ગયેલા બાળકો અથવા તો કોઈ કારણસર અધ્વચ્ચે અભ્યાસ છોડી દીધો હોય, એવા બાળકો મળી આવે તો એવા બાળકો માટે સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે છે. કારણ કે, એ વ્યવસ્થિત પદ્ધતિસરનું શિક્ષણ એમણે મેળવેલું હોતું નથી તો એમને પદ્ધતિસરનું શિક્ષણ આપવામાં આવે છે. ત્યારબાદ એમની પરીક્ષા લઈ અને એ જે તે ધોરણની અંદર એમની વય કક્ષા પ્રમાણે મૂકવામાં આવતા હોય છે. સરકારનો અભિગમ છે અને ઘણા સમયથી ચાલે છે. અત્યારે આપણે ત્યાં મહેસાણાની 13 વર્ગો ચાલી રહ્યા છે અને 132 બાળકો એનો લાભ લઈ રહ્યા છે. પાકિસ્તાનથી આવેલા બાળકો ગુજરાતી ભણી વાંચતા-લખતા થયાવણકર ભારતીબેને જણાવ્યું કે, લાખવડ શાળામાં STP વર્ગો ચાલે છે એ વર્ગો હું ચલાઉ છું. જે લોન્ગ ટર્મ વિઝા પર પાકિસ્તાનથી આવેલા છે, એવા બાળકોનું ભણતર બગડે નહિ એ માટે આ શાળામાં બેસાડવામાં આવે છે. એવા બાળકોને હું એક વર્ષ ભણાઉ છું પછી જેમ તૈયાર થાય એ પ્રમાણે જેતે વર્ગમાં મુકવામાં આવે છે. મારા વર્ગમાં 16 બાળકો છે. બીજા બાળકો 50 જેટલા છે એમનું પણ ભણતરના બગડે એટલે શાળાના આચાર્ય એમને ભણવા બેસવા દે છે. આ બાળકો ત્રીજાથી આઠમા ધોરણ સુધીના હોઈ છે. પાકિસ્તાનમાં થોડું ભણેલા હોઇ અમુક બાળકો શાળાએ ગયા નથી, તેવા બાળકોને ગુજરાતી આવડતું નથી, પરંતુ અહીંયા તેઓને બધું શીખવાડવામાં આવે છે. આવા બાળકોને ભણવામાં પણ વધારે રસ હોવાનું જોવા મળે છે, જેથી કરીને તેઓ ગુજરાતી ભણી શકે છે, વાંચી-લખી પણ શકે છે. મહેસાણા જિલ્લાનો આ સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે કે શિક્ષણ માત્ર અધિકાર જ નથી, પણ એક નવું જીવન શરૂ કરવાની ચાવી પણ છે. સરહદોની પારથી આવેલા હોય કે પછી સ્થાનિક સ્તરે શિક્ષણથી વંચિત હોય, આ પ્રોગ્રામ થકી દરેક બાળકને સમાન તક મળી રહી છે. લાખવડમાં પાકિસ્તાની બાળકોનું ગુજરાતી ભણવું અને સ્થાનિક બાળકો સાથે ભળી જવું, એ જ દર્શાવે છે કે જ્ઞાનની કોઈ સીમા નથી હોતી. આ જ્ઞાન તેમને આવતીકાલના મુખ્ય પ્રવાહના નાગરિક બનાવવામાં મદદરૂપ થશે.
એસ.પી.રિંગ રોડ પર આવેલા ચંચળબા પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાં આવીને અજાણ્યા શખસે હાથ સાફ કર્યો છે. ગઈકાલે મનિષાબેન પંચાલ તેમના ભાઈના દીકરાના લગ્નમાં ગયા હતા. લગ્ન પ્રસંગમાં પાર્ટી પ્લોટમાં સોફા પર સોનાના દાગીના અને રોકડ સાથેનું પર્સ મૂક્યું હતું. તે દરમિયાન અજાણ્યો શખસ લગ્ન પ્રસંગમાં આવીને સોફા પર મૂકેલું પર્સ લઈને ફરાર થઈ ગયો હતો. 3 લાખથી વધુના સોનાના દાગીના સહિત 4.34 લાખની ચોરી થતા સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. લગ્ન પ્રસંગમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યોલગ્ન પ્રસંગ આવતા તસ્કરો એક્ટિવ થઈ ગયા છે અને ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ફરિયાદી મનિષાબેન પંચાલ પરિવાર સાથે ઘોડાસર વિસ્તારમાં રહે છે. ગઈકાલે મનિષાબેન પંચાલના ભાઈના દીકરાના લગ્ન હતા. જેથી, લગ્ન પ્રસંગનું આયોજન એસ.પી. રીંગ રોડ પર આવેલા ચંચળબા પાર્ટી પ્લોટમાં રાખવામાં આવ્યું હતું. જેના માટે મનિષાબેન પરિવાર સાથે ગયા હતા. લગ્ન પ્રસંગ હોવાથી સોનાના દાગીના અને રોકડ રૂપિયા પણ હતા. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરીસોનાના દાગીના અને રોકડ રૂપિયા એક પર્સમાં રાખવામાં આવ્યા હતા. જે લગ્નમાં એક સોફા પર રાખવામાં આવ્યું હતું પરંતુ, કામ હોવાથી પર્સ સાથે લઈ જવાનું ભૂલી ગયા હતા. થોડા સમય બાદ પર્સ લેવા માટે આવતા તે સોફા પર મળી આવેલ નહતું. જેથી આસપાસમાં શોધખોળ પણ કરવામાં આવી હતી પરંતુ, મળી ન આવતા કોઈક અજાણ્યો શખસ ચોરી કરી ગયો હોવાનું સામે આવ્યું હતું. પર્સમાં 3 લાખથી વધુના સોનાના દાગીના સહિત 4.34 લાખની વસ્તુઓ હતી તેની પણ ચોરી થઈ ગઈ હતી. જેથી ફરિયાદીએ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે.
સાબરકાંઠામાં ભાજપની મતદાર યાદી સુધારણા ડ્રાઇવ:ધારાસભ્યો-સાંસદ બૂથ પર, મતદારોને ફોર્મ ભરવામાં મદદ કરી
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા વિશેષ ડ્રાઇવ યોજાઈ હતી. આ ડ્રાઇવમાં ભાજપના ધારાસભ્યો અને સાંસદ સહિતના નેતાઓ મતદાન બૂથ પર પહોંચ્યા હતા. તેમણે કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો અને કામગીરીની સમીક્ષા કરી હતી. આ કાર્યક્રમ 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ચાલી રહ્યો છે, જેમાં શનિવાર અને રવિવાર ખાસ મતદાર યાદી સુધારણા દિવસો તરીકે ઉજવાયા હતા. રવિવારે સવારથી જ બૂથ લેવલ ઓફિસરો (BLO) મતદાન મથકો પર હાજર રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના કુલ 1282 મતદાન મથકો પર BLO, સહાયકો અને અન્ય સરકારી કર્મચારીઓ મતદારોને મદદ કરી રહ્યા છે. ભાજપની આ ડ્રાઇવમાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરા, પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, સાબરકાંઠા અને અરવલ્લીના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુ પટેલ સહિત સંગઠનના હોદ્દેદારો જિલ્લા અને વિધાનસભાના મતદાન મથકોએ પહોંચ્યા હતા. ભાજપના કાર્યકરો પણ BLOની મદદમાં જોડાયા હતા અને મતદારોને ફોર્મ ભરવામાં તથા પરત લાવવામાં સહાય કરી હતી. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ હિંમતનગરના વોર્ડ નંબર-6 માં આવેલા બૂથ નંબર-125 અને 126ની મુલાકાત લીધી હતી. તેમણે SIR કામગીરીની સમીક્ષા કરી હતી અને આ બૂથ પર 95 ટકા કામગીરી પૂર્ણ થવા બદલ તમામ હોદ્દેદારો અને BLOને અભિનંદન પાઠવ્યા હતા. આ મુલાકાત દરમિયાન શહેર પ્રમુખ કુલદીપ પાઠક, મહામંત્રી ભવરસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ સવજી ભાટી અને વાસુદેવ રાવલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ધારાસભ્ય ઝાલાએ હિંમતનગરના બળવંતપુરા વિસ્તારમાં સમાવિષ્ટ બૂથ નંબર-145, 146, 147 અને 148 પર ચાલી રહેલી સ્પેશિયલ ડ્રાઇવ કામગીરીની પણ સમીક્ષા કરી હતી. અહીં 90 ટકા કામગીરી પૂર્ણ થતાં તેમણે BLO, BLA સહિતની સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે અતુલ દીક્ષિત, સવજી ભાટી, ભવરસિંહ ચૌહાણ, પ્રફુલ કાથાવાલા, કનુ રાવલ, રશ્મિકાંત પંડ્યા અને નટુ ઓઝા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. તેમણે હિંમતનગર સ્થિત મહાવીરનગર વિસ્તારના બૂથ નંબર-76 અને 100ની પણ મુલાકાત લીધી હતી. અહીં તેમણે સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત કામગીરીની સમીક્ષા કરી અને હોદ્દેદારોને મતદારોને મદદરૂપ થવા માટે પ્રેરિત કર્યા હતા. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય, સવજી ભાટી, ભવરસિંહ ચૌહાણ અને મિલન શાહ ઉપસ્થિત રહ્યા હતા.
બનાસકાંઠામાં રવિ સિઝન માટે યુરિયાનો પૂરતો જથ્થો:ખેડૂતોને સંતુલિત ખાતર વ્યવસ્થા અપનાવવા અપીલ કરાઈ
ચાલુ રવિ સિઝન માટે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂત ભાઈઓ માટે ખાતરનો પૂરતો અને સુલભ પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. હાલ જિલ્લામાં ડીસા રેક પોઈન્ટ પર ઇફકો કંપનીનું 3000 મેટ્રિક ટન, આઈપીએલ કંપનીનું 2000 મેટ્રિક ટન તથા જીએસએફસી કંપનીનું 600 મેટ્રિક ટન યુરિયા ખાતર ઉપલબ્ધ છે. આ ઉપલબ્ધ યુરિયા ખાતરનું પ્રત્યેક તાલુકામાં ઝડપથી સપ્રમાણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં પણ બનાસકાંઠામાં વધારાનું 5000 મેટ્રિક ટન ખાતર ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી વિભાગ તરફથી ખેડૂત ભાઈઓને ખાસ અપીલ કરવામાં આવી છે કે, યુરિયા ખાતરનો ખોટો સંગ્રહ કે વધુ પ્રમાણમાં ખરીદી ન કરવામાં આવે. વધુ પડતા યુરિયા ખાતરનો ઉપયોગ જમીનના સ્વાસ્થ્ય તથા માનવ સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક સાબિત થાય છે. યુરિયા સિવાય નાઈટ્રોજન માટેના વિકલ્પ રૂપે એમોનિયમ સલ્ફેટ, એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ, નાઇટ્રો ફોસ્ફેટ, PROM, NPK, NPK Consortia, વોટર સોલ્યુબલ ખાતર તેમજ NANO Urea જેવા ખાતરો પણ બજારમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. જિલ્લા ખેતીવાડી અધિકારી મયુર પટેલ દ્વારા ખેડૂત મિત્રોને જરૂરિયાત મુજબ જ અધિકૃત વિક્રેતા પાસેથી ખાતર ખરીદીને સંતુલિત ખાતર વ્યવસ્થા અપનાવવા અપીલ કરાઈ છે.

25 C