ખેડા તાલુકાના નાયકા થી નવાગામ સુધીનો 5 કિ.મી નવીન ડામર રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે.બીજી તરફ છેલ્લા પાંચ વર્ષથી આ રસ્તો વાહન ચાલકો માટે માથાનો દુખાવા સમાન બન્યો હતો. તાજેતરમાં આ રોડની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. ખેડાના નાયકા થી નવાગામ સુધી નવીન ડામર રોડની કામગીરી શરૂ કરવામાં આવતા વાહન ચાલકોએ રાહત શ્વાસ લીધો છે. છેલ્લા 15 દિવસમાં ખેડા માર્ગ મકાન વિભાગ દ્વારા નાયકા થી નવાગામ સુધીના પાંચ કિલોમીટર માર્ગ પર નવીન ડામર રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે. છેલ્લા 15 દિવસમાં નાયકા થી નવાગામ સુધી રોડ પર ડામરના પહેલા લીયરની કામગીરી નાયકા સુધી પૂર્ણ કરી દેવામાં આવી છે છેલ્લા પાંચ વર્ષથી નાયકા થી નવાગામ પાંચ કિલોમીટર રોડ પર મસમોટા ખાડા પડી ગયા હોવાથી વાહન ચાલકો માટે આ રોડ એક દુખાવા સમાન બન્યો હતો. જોકે અગાઉ જૂન મહિનામાં રોડની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં વાસણા ટોલ થી નાયકા સુધી નવીન ડામર રોડની સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી ચોમાસા દરમિયાન નાયકા થી નવાગામ રોડની કામગીરી ચાર મહિના સુધી બંધ રહી હતી. જે કામગીરી 15 દિવસ પહેલા ખેડા મકાન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવતા હવે વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે આવનાર 15 દિવસમાં નાયકા થી નવાગામ સુધી બીજા લીયર ના ડામરની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે તેવું માર્ગ મકાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું વાસણા ટોલ થી નવાગામ સુધી આ નવીન રોડ 8 કરોડ ના ખર્ચે મંજૂર થયેલ છે.
પિતા-પુત્ર પર માનસિક અસ્વસ્થ યુવકનો હુમલો:ખંભાતમાં માનસિક અસ્વસ્થ યુવક હાથમાં છરો લઈને નીકળ્યો :
ખંભાતમાં માનસિક અસ્વસ્થ યુવક ભરબજારમાં હાથમાં છરો લઈને નીકળ્યો હતો. વધુમાં તે એક દુકાનમાં ઘુસી ગયો હતો અને પિતા-પુત્ર પર હુમલો કર્યો હતો. જોકે, એ સમયે અન્ય લોકો આવી પહોંચતા જ તેના હાથ પકડી લઈને છરો લઈ લીધો હતો. ત્યારે યુવકે મારા પપ્પાએ જ બે-ત્રણ જણને પતાવીને આવજે તેમ બબડાટ કર્યો હતો. બીજી તરફ યુવકને લઈને શહેરીજનો તેના ઘરે ગયા ત્યારે પુત્રને ઠપકો આપવાના બદલે યુવકના પિતા સહિતના અન્ય પરિવારજનો મારો છોકરો ગમે ત્યાં ફરે, કહેવા આવવું નહીં તેમ કહી તેમના પર તાડુક્યા હતા. આ મામલે ખંભાત શહેર પોલીસે ગંભીર બેદરકારી દાખવવા બદલ માનસિક અસ્વસ્થ યુવકના માતા- પિતા અને ભાઈ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ખંભાતના પીઠ બજારમાં 20 વર્ષીય નેહાલ સંજયભાઈ રાવળ રહે છે. તેણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, રવિવારે સવારે તે તેમજ તેના પિતા સંજયભાઈ યોગીનભાઈ રાવળ તેમની દુકાને આવીને બેઠા હતા. એ સમયે ગામમાં રહેતો અને છેલ્લાં કેટલાંય સમયથી માનસિક અસ્વસ્થ મોઈનુદીન સજ્જાદહુસૈન સૈયદ (રહે. નાકરાતની પોળ) હાથમાં છરો લઈને તેમની દુકાને આવી ચઢ્યો હતો. તે માનસિક અસ્વસ્થ હોઈ અને તેના હાથમાં છરો હોય પિતા-પુત્ર ભયભીત થઈ ગયા હતા. તેમણે તુરંત જ તેને ત્યાંથી ઘરે જતો રહેવા માટે જણાવ્યું હતું. પરંતુ યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને જાતિવાચક શબ્દ બોલી, મારા પિતાએ જ બે-ત્રણ જણને પતાવીને આવજે તેમ કહ્યું છે તેમ કહીને યુવકે પિતા-પુત્ર પર છરાથી હુમલો કર્યો હતો. જોકે, તેઓએ તેમના બચાવ કર્યો હતો. પરંતુ આમ છતાં યુવકના પિતાને હાથમાં છરો વાગી ગયો હતો. જોકે, આ ઘટનાને પગલે બુમરાણ મચી જતા આસપાસના અન્ય વેપારીઓ ધસી આવ્યા હતા અને તેમણે તુરંત જ યુવકને પકડી લીધો હતો અને તેની પાસેથી છરો કબજે કરી લીધો હતો. તેને લઈને તમામ લોકો યુવકના ઘરે ગયા હતા, જ્યાં માનસિક અસ્વસ્થ યુવકે ભરબજારમાં કરેલી હરકત વિશે તેના પિતા સજ્જાદહુસૈન અકબરહુસૈન સૈયદને જાણ કરવા ગયા હતા. લોકોને જોઈને સજ્જાદહુસૈન ઉશ્કેરાઈ ગયા હતા અને ગમે તેમ અપશબ્દ બોલ્યા હતા. તેમણે હું જ આણંદની માનવસેવા આશ્રમમાંથી મારા દીકરાને લઈને આવ્યો છું અને તે ગમે ત્યાં ફરે, ગમે તે કરે મને કહેવા આવવું નહીં તેમ કહી આવેલા લોકોને ધમકાવ્યા હતા. બીજી તરફ સજ્જાદહુસૈનનું ઉપરાણું લઈને તેમનો પુત્ર મહંમદસોહેબ અને તહેજીબમનીશા પણ તેમને ગમે તેમ બોલવા લાગ્યા હતા અને ત્રણેય જણાંએ તેમને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. આ મામલે ખંભાત શહેર પોલીસે ત્રણેય વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
હુમલો:રામગનર ગામે ઝઘડાની રીસ રાખી ભાઈ-ભાભી પર ભાઈ-પિતાનો હુમલો
આણંદ શહેર પાસેના ડુંગરીપુરા નહેર નજીક રામનગરમાં અગાઉના ઝઘડાની રીસ રાખી ભાઈ અને પિતાએ ભાઈ અને તેની પત્ની પર લાકડા વડે હુમલો કર્યો હતો. જેમાં મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. આ મામલે વાસદ પોલીસે પરિવારના ચાર સભ્યો વિરૂદ્ધ મારામારીની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ શહેર પાસેના ડુંગરીપુરા નહેર નજીક આવેલા રામનગરમાં 42 વર્ષીય દિનેશભાઈ ભાઈલાલભાઈ પરમાર રહે છે. તેમણે વાસદ પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત શનિવારે રાત્રે આઠ વાગ્યે તેઓ તેમના ઘરે હાજર હતા. દરમિયાન, તેમનો નાનો ભાઈ વિજય તેમની સાથે થયેલા અગાઉના ઝઘડાની રીસ રાખી તેમના ઘરે આવી ચઢ્યો હતો. તેમની સાથે તેમના પિતા ભાઈલાલ પણ આવ્યા હતા અને ગમે તેમ બોલતા હતા. જે મામલે તેમણે તેમને ગમે તેમ અપશબ્દ ન બોલવા બાબતે ઠપકો આપતા બંને ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે તેમને લાકડાનો દંડો લઈ માર માર્યો હતો. એ સમયે ત્યાં હાજર દિનેશભાઈની પત્ની રમીલાને પણ ગમે તેમ બોલીને માર મારી ઝપાઝપી કરી હતી. તે મનું ઉપરાણું લઈને તેમની માતા બૈરાજબેન અને કાકાનો દીકરો કિરણ વિનુ પરમાર પણ આવી ચઢ્યા હતા અને તેમણે ઝપાઝપી કરી હતી. જેમાં તેમના બાળકોને પણ ઈજા પહોંચી હતી. આ મામલે વાસદ પોલીસે પિતા-પુત્ર સહિત ચારેય વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ગટર લાઇન ની કામગીરી શરૂ કરાઈ:વિદ્યાનગરમાં 4.08 કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર ડ્રેનેજ તૈયાર કરાશે
આણંદ મનપા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે 4.08 કરોડના ખર્ચે વિદ્યાનગર બંસરી પાર્ક થી હયાત સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન કામ શરૂ કરવામાં આવશે. જેનું ખાતમુહુર્ત ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મોગરી ગામનાં વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ ડ્રેઈન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે શહેરના રાજપથમાર્ગ ને સાત કરોડ ઉપરાંતના ખર્ચે વ્હાઈટ ટોપીગ માર્ગ નું કામ સોમવારથી હાથ ધરવામાં આવનાર છે. જેને લઇને બાકરોલ ટી પોઇન્ટ થી પ્રાપ્તિ સર્કલ સુધી માર્ગ એક સાઇડ બંધ કરીને કામ શરૂ કરવામાં આવનાર હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર આણંદ એસએમજેવાય યોજના હેઠળ આજે શહેરના સરદાર પટેલ રાજમાર્ગ થી પ્રાપ્તિ સર્કલ સુધીનો માર્ગ વ્હાઇટ ટોપીગ રૂ 7.22 કરોડના ખર્ચે તથા લાંભવેલ ખાતે પાણીની સમસ્યા ના ઉકેલ અંતર્ગત રૂ 2.43 કરોડના ખર્ચે નવીન પાણીની ટાંકી તથા વરસાદી પાણીના નિકાલ માટે રૂ 2.29 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર યોજનાનું કામ શરૂ કરવામાં આવનાર છે. આ ઉપરાંત અમીન ઓટો રોડ થી શિવનાથ પાંડેના ઘરથી નીલેશભાઈના ઘર સુધી ગટર લાઇનનું કામઆવશે
સોજિત્રામાં ઇલેક્ટ્રોનિક્સનો શો-રૂમ ચલાવતાં એક વેપારીને તાંત્રિક વિધિ સહિતની સોનાના બિસ્કીટની લાલચ આપી છેલ્લાં સાત માસમાં રૂપિયા 1.63 કરોડની ઠગાઈ કરવાના ગુનામાં સોજિત્રા પોલીસે ઠગાઈનો ગુનો નોંધ્યો હતો. આ ગુનામાં મદદગારી કરનારા મૂળ ત્રણોલના શખસને આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે દબોચી લઈ સોજિત્રા પોલીસને સોંપ્યો હતો. આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સોજિત્રા ગામના મહિ કેનાલ ઓફિસની સામે આવેલી હામી સોસાયટીમાં રહેતાં વ્યવસાયે વેપારી 33 વર્ષીય કામિલભાઈ ઇકબાલભાઈ વ્હોરાને સફીમહંમદભાઇ સબુરભાઈ વ્હોરા (રહે. સમીર પાર્ક સોસાયટી), તેમના પુત્ર સાહિલ સફીમહંમદભાઈ સબુરભાઈ વ્હોરા, પત્ની ઇમરાનાબેન તથા સિરાઝભાઇ મહોમદસઇદ વ્હોરા (રાજુ ઉર્ફે કચી) અને અયાન સિરાઝ વ્હોરા અને સફી કામિલ સહિત અન્ય શખસોએ બહાના કાઢીને રૂપિયા 8 લાખ ઉછીના લીધા હતા. વધુમાં તેમને તાંત્રિક વિધિ કરવાના બહાને તેમજ સોનાની બિસ્કીટ આપવાની લાલચ આપીને અલગ-અલગ સમય દરમિયાન તેમની પાસેથી રૂપિયા પડાવ્યા હતા. જે અંતર્ગત ટોળકીએ તમારી ઉપર તાંત્રિક વિધિ કરી છે, જો તમે ડોક્ટર પાસે બતાવવા જશો તો મરી જશો તેવો ડર બતાવી આ ટોળકીએ કોર્ટનો હુકમ મેળવવા 7 લાખ, પરિવારને બચાવવાની ચોકી બનાવી આપવાનું કહી 9 લાખ , અવાર-નવાર બે મોંઢાવાળા સાપ, શેરવો તથા બાર નખવાળો કાચબો દેખાડી, આખા પરિવારને તાંત્રિક વિધિથી મારી નાંખવાની ધમકીઓ આપી રૂપિયા 1.68 કરોડ પડાવ્યા હતા. આ ગુનામાં તમામ આરોપી પકડાઈ ગયા હતા. જોકે, મદદગારી કરનારો ફારૂકમીંયા ગુલામનબી મલેક (રહે. ત્રણોલ)નો નાસતો-ફરતો હતો. જેમાં તેનું નામ ખુલતાં જ પોલીસે તેને દબોચી લીધો હતો.
ગમખ્વાર અકસ્માત સર્જાયો:વાડોલામાં રોડ ક્રોસ કરતી મહિલાનું પીકઅપ ડાલાની અડફેટે મોત
ખંભાત-ધર્મજ હાઈવે રોડ સ્થિત વાડોલા ગામની સીમમાં શનિવારે બપોરે રોડ ક્રોસ કરી રહેલી મહિલાનું પીક અપ ડાલાની અડફેટે મોત નીપજ્યું હતું. ખંભાત-ધર્મજ હાઈવે રોડ સ્થિત વાડોલા બસ સ્ટેન્ડની બાજુમાં 69 વર્ષીય કપીલાબેન છોટાભાઈ રાઠોડ રહે છે. તેમના બહેન જીબાબેન તેમના ઘરની નજીક રોડની સામે જ રહે છે. ગત શનિવારે બપોરે સાડા બાર વાગ્યે તેઓ તેમના ઘરે બેસવા ગયા હતા. દરમિયાન, વાતચીત કર્યા બાદ મળીને તેઓ પરત તેમના ઘરે આવી રહ્યા હતા. દરમિયાન બપોરે પોણા ત્રણ વાગ્યાની આસપાસ તેઓ વાડોલા ગામ સીમમાં રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે ત્યાંથી પુરપાટ ઝડપે જતા પીકઅપ ડાલુના ચાલકે તેમને ટક્કર મારી હતી. જેને પગલે મહિલા રોડ પર પટકાયા હતા અને બેભાન થઈ ગયા હતા. બીજી તરફ આ બનાવને પગલે આસપાસના ટોળાં એકઠાં થઈ ગયા હતા અને તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધી તપાસ કરાઈ હતી. જેમાં અડફેટે લેનારો પીકઅપ ડાલુનો ચાલક ખંભાતની જલારામ સોસાયટીમાં રહેતો ફારૂક કાસમ પઠાણ હોવાનું ખૂલ્યું હતું. જેને પગલે પોલીસે તેના વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ શહેરના અમૂલ ડેરી રોડ પર આવેલી શાકમાર્કેટની બહાર ઉભી રહેતી લારીઓ દૂર કરીને મનાપે માર્ગ પહોળો કર્યો હતો. સાથે સાથે આણંદ શાકમાર્કેટમાં પાછળ ભાગે ખુલ્લી જગ્યા પાર્કીંગની વ્યવસ્થા કરવા તેમજ માર્કેટમાં પ્રવેશના માર્ગ પર ગેરકાયદે બાંધેલા ઓટલા દૂર કરવા તાકીદ કરી હતી. જેથી એપીએમસીએ રવિવારના રોજ 20થી વધુ ઓટલા પર જેસીબી ફેરવીને તોડીને માર્ગ ખુલ્લો કર્યો છે આણંદ શહેરના અમૂલ ડેરી રોડ પર આવેલા મોટી શાકમાર્કેટ આવેલી છે. દૈનિક 7 હજારથી વધુ લોકો ખરીદી માટે આવે છે. તેમજ દરરોજ 200 વધુ ટેમ્પા આવે છે. શાકમાર્કેટની બહાર આડેધડ પાર્કિંગ કરતાં હતા.તે મનપાએ પાર્કિંગ દૂર કરીને મોટી શાકમાર્કેટ પ્રવેશના માર્ગ સાંકડો બની ગયો હતો. કારણ કે માર્ગની બંને બાજુઓ ગેરકાયદે ઓટલા બનાવીને ભાડે આપી દીધા હતા. જેને ધ્યાને લઇને આણંદ કરમસદ મનપા દ્વારા એપીએમસીને તાત્કાલિક ગેરકાયદે ઓટલા દૂર કરીને માર્ગ પહોળો કરવાની સુચના આપી હતી. જેના ભાગરૂપે એપીએમસી દ્વારા રવિવારના રોજ ગેરકાયદે 20 જેટલા ઓટલા જેસીબી મશીન તોડી પાડીને દૂર કરીને પ્રવેશવાનો માર્ગ પહોળો કરવામાં આવ્યો છે. જેથી હવે શાકભાજી ખરીદવા આવતાં ગ્રાહકોને કોઇ મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે તેમજ સરળતાથી વાહનો પસાર થઇ શકશે ઓટલો બનાવીને ગેરકાયદે ભાડુ વસુલતા હતાઆણંદ શહેરના મોટી શાકમાર્કેટમાં આજથી 20 વર્ષ પહેલા માંડ 150 જેટલા ઓટલો હતા.જો કે ત્યારબાદ કેટલાંક વેપારીઓ ગેરકાયદે ઓટલા બનાવીને ભાડે આપીને તગડું ભાડુ વસુલતા હતા. ગેરાકાયદે ઓટલાને કારણે પ્રવેશદ્વાર સહિતનોમાર્ગ સાંકળો બની ગયો હતો.જો કે ઓટલા દૂર કરાતાં કે વેપારી દલાલોના પેટમાં તેલ રેડાયું છે.
પોરબંદરના એસ.ટી.ડેપો ખાતે મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સીમિત હોવાથી મુસાફરોને ડેપોના પ્લોટફોર્મ પર ઉભવા મજબુર બન્યા છે. ડેપોના પ્લેટફોર્મ પર મુસાફરો અને વિદ્યાર્થીઓ ઉભવાની ફરજ પડે છે જેથી અકસ્માતની પણ ભીતિ સેવાઈ રહી છે.ત્યારે ડેપોમાં વધારાની બેઠક વ્યવસ્થા ઉભી કરવા માંગ પણ ઉઠવા પામી છે. પોરબંદરના એસ.ટી.ડેપોનું થોડા વર્ષ પૂર્વે જ આધુનિક બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું.આ બિલ્ડીંગમાં બેઠક વ્યવસ્થા સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી ત્યારે ડેપોમાં હાલ બપોરના સમયે વિદ્યાર્થીઓ અને મુસાફરોની ભીડ વધુ રહેતી હોવાથી ડેપોમાં બેઠક વ્યવસ્થા ખૂટી પડે છે. મુસાફરો અને વિદ્યાર્થીઓ ફરજિયાત ડેપોમાં આવેલ બસના પ્લેટફોર્મ પર બેસવા અને ઉભા રહેવાની ફરજ પડે છે ત્યારે મુસાફરો પ્લેટફોર્મ પર ઉભા રહેતા હોવાથી અકસ્માતની પણ ભીતિ રહે છે જેથી ડેપોમાં પૂરતી બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરવા માંગ ઉઠી છે. બેઠક વ્યવસ્થાના અભાવે મુસાફરો અને વિદ્યાર્થીઓ પાર્કિગ અથવા પ્લેટફોર્મ પર બેસવા અને ઉભવા મજબુર બને છે. ભૂતકાળમાં અકસ્માત પણ સર્જાયા છે પોરબંદરના એસ.ટી.ડેપો ખાતે ભૂતકાળમાં મુસાફરનો પગ બસના ટાયર નીચે આવી ગયો હોવાની ઘટના પણ બની હતી ત્યારે આ પ્રકારની ઘટના ફરી ન બને તે માટે બેઠક વ્યવસ્થા ઉભી કરવી જરૂરી બની છે.
પાટણ તાલુકાના મહેમદપુર ગામના ખેડૂત રમેશજી ઠાકોર તેમની 3 વીઘા જમીનમાં ચોમાસામાં વાવણી અડદ અને એરંડાનું સાથે વાવેતર કર્યું હતું. જેમાં વચ્ચે પાંચ પાટલા એટલે સાત ફૂટ જગ્યામાં અડદનું વાવેતર કર્યું હતું અને સાત ફૂટ અંતર રાખીને એરંડાનું વાવેતર કર્યું હતું. તમામ જગ્યાનો ઉપયોગ કર્યો હતો. અડદની કાપણી ત્રણ મહિનાની અંદર આવી જાય છે જેમાં 20 મણ અડદ લીધા હતા. તે લીધા બાદ વચ્ચે આંતર ખેડ કરીને રજકાનું વાવેતર કર્યું હતું તેનો ઉપયોગ પશુઓને આહાર તરીકે કરવામાં આવે છે અને બાદમાં તેનું બિયારણ એટલે કે રજકો પકવવામાં આવશે. એટલે કે એક જ ખેતરમાં અડદ એરંડા રજકાનું ઉત્પાદન અને પશુઓનો પૂરતો આહારનું આયોજન ખેડૂતે કર્યુ છે. ખેડૂતે જણાવ્યું કે ઓર્ગેનિક પદ્ધતિનો સૌથી મોટો ફાયદો એ છે કે પાણી અને ખાતરનો ખર્ચ જે મુખ્ય પાક માટે કરવામાં આવે છે.તેનો જ લાભ આંતરપાકોને મળે છે.પરિણામે મજૂરી અને ખર્ચમાં મોટો ઘટાડો થાય છે અને આવક બમણી થઈ છે. આ પ્રગતિશીલ ખેડૂતે પોતાના ખેતરમાં જીવામૃત વાપરે છે તે સંપૂર્ણ દેશી પદ્ધતિથી તૈયાર કરે છે.180 લીટર પાણી,10 કિલો ગાયનું છાણ,10 લીટર ગૌમૂત્ર,1 કિલો કઠોળનો લોટ અને 1 કિલો ગોળ સાથે જૈવિક માટીમાંથી તૈયાર કરે છે.આ જીવામૃત માત્ર 5 દિવસમાં તૈયાર થાય છે.અને આ મિશ્રણ 2 વીઘા જમીન માટે રામબાણ ઈલાજ સમાન છે. અડદનો પાક એરંડાની અંદર નાઇટ્રોજન પૂરો પાડશે ખેડૂત રમેશજી ઠાકોરે જણાવ્યું કે હું યુરિયા ખાતરનો ઉપયોગ ન કરવા માટે એરંડાના પાકમાં અડદનું વાવેતર કર્યું હતું એટલા માટે કે અડદ ના પાકમાં નાઇટ્રોજન પેદા થાય છે તે નાઇટ્રોજન યુરિયાની કમી પૂરી પાડે છે એરંડાની જેથી એરંડા સારા થાય છે અને ઓર્ગેનિક પદ્ધતિથી કૃત્રિમ ખાતરનો ઉપયોગ ન કરી સારી રીતે એરંડાનો પાકની માવજત કરી છે.
કામગીરી:પાટણમાં અકસ્માતો અટકાવવા માટે 200 પશુઓને રેડિયમ પટ્ટી લગાવી
પાટણ શહેરમાં રાત્રિના સમયે રખડતા ઢોર અને વાહન ચાલકો વચ્ચે સર્જાતાં જીવલેણ અકસ્માતોની ઘટનાઓ ચિંતાનો વિષય બની છે. તાજેતરમાં આખલો આડો ઉતરતા બાઈક ચાલકના મોતના કિસ્સા બાદ બનાસકાંઠા અને પાટણના ગૌરક્ષકો દ્વારા સુરક્ષા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. શનિવારે રાત્રે બનાસકાંઠાની 13 ટીમોના 100થી વધુ યુવાનો અને 7 બહેનોની ટુકડીએ પાટણના માર્ગો પર ઉતરી પશુઓને રેડિયમ પટ્ટી બાંધવાની કામગીરી કરી હતી. મોડી રાત્રે 1 વાગ્યા સુધી ચાલેલી આ ડ્રાઈવમાં અંદાજે 200થી વધુ પશુઓના ગળે રેડિયેશન પટ્ટા લગાવવામાં આવ્યા હતા. ગૌસેવક અઘજી ચૌધરીએ જણાવ્યું કે, આ કામગીરી અત્યંત જોખમી હોય છે. ખાસ કરીને આખલાઓને રેસ્ક્યુ કરવા માટે તેમના શિંગડામાં દોરડાનો ગાળિયો નાખી, યુવાનો દ્વારા પશુને કાબૂમાં રાખી પટ્ટી બાંધવામાં આવે છે. આ દરમિયાન યુવાનો ઈજાગ્રસ્ત થવાનો ભય પણ રહે છે. ઉલ્લેખનીય છે કે, આ સેવા કાર્ય માટે બનાસકાંઠાના વાસુભાઈ માળી દ્વારા તમામ મટીરીયલ પૂરું પાડવામાં આવે છે. આ પટ્ટીઓને કારણે અંધારામાં વાહનચાલકોને દૂરથી જ પશુની હાજરીનો અહેસાસ થશે, જેનાથી સંભવિત અકસ્માતો અટકાવી શકાશે.
ગામ ગામની વાત:કરાણા ગામમાં નવી આંગણવાડી બનાવવામાંઆવી, સ્મશાન ફરતે વંડો પણ બનાવાયો
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના 1800ની વસ્તી ધરાવતા કરાણા ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવ્યું છે. તેમ ગામના અગ્રણી કમળાબેન ભગવાનજીભાઈ રાઠોડ જણાવ્યું હતું. વધુમાં તેણીએ જણાવ્યું હતું કે ગ્રામજનોને આવા ગમન કરવામાં મુશ્કેલી ન પડે તે માટે પેવર બ્લોક અને આરસીસી રોડ બનાવવામાં આવ્યા છે આ ઉપરાંત ગામની મહિલાઓને કપડાં ધોવામાં મુશ્કેલી ન પડે તે માટે કપડાં ધોવાના ઘાટ બનાવવામાં આવ્યા છે. તેમજ ગામમાં આવેલા સ્મશાનને ફરતે વડો બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ગામના ભૂલકાઓ સારી રીતે અભ્યાસ કરી શકે તે માટે રૂપિયા 7 લાખના ખર્ચ નવી આંગણવાડી બનાવવામાં આવી છે. ગામમાં સમયાંતરે વૃક્ષારોપણ પણ કરવામાં આવે છે. ગ્રામજનો વાડી વિસ્તારમાં સરળતાથી આવાગમન કરી શકે તે હેતુથી બે કોઝ બનાવવામાં આવ્યા છે. પાણીનો સંમ્પ બનાવવામાં આવ્યોગ્રામજનોને કોઈપણ ઋતુ દરમિયાન પાણીની અગવડતા ન પડે તે માટે પાણીનો સંમ્પ બનાવવામાં આવ્યો છે આ ઉપરાંત પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે. તેમજ પાણીનો બોર પર પણ બનાવવામાં આવ્યો છે. ગામની પ્રાથમિક શાળાને ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી છે. ઘરે ઘરે કચરાપેટીનું વિતરણ કરાશેગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી ઘરે ઘરે કચરાપેટીનુંવિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત લોકોને રાત્રિ દરમિયાનઆવા ગમન કરવામાં મુશ્કેલી ન પડે તેમજ કોઈ અનિચ્છનીયબનાવ ન બને તે માટે 45 જેટલી સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગદળ, રાષ્ટ્રીય મજદૂર પરીષદ, ઈન્ડિયા હેલ્થ લાઈન, રાષ્ટ્રીય છાત્ર પરીષદ જેવા વિવિધ આયામોની અમરેલી જિલ્લા બેઠક તા 21ને રવિવારે યોજાયેલી હતી. જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો. જી. જે. ગજેરા, સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળ ભાઈ ખુમાણ, સૌરાષ્ટ્ર પ્રાંત ઇન્ડિયન હેલ્થ લાઈન પ્રમુખ ડૉ. કે. બી. દેશાણી, સૌરાષ્ટ્ર પ્રાંત મજુર પરીષદ પ્રાંત પ્રમુખ સુરેશભાઈ સોલંકીએ હાજરી આપી હતી. આ ઉપરાંત, રાષ્ટ્રીય છાત્ર પરીષદ પ્રાંત મંત્રી મજબૂતભાઈ બસીયા, વિભાગ અધ્યક્ષ દડુભાઇ ખાચર, મનસુખભાઈ રૈયાણી, અમરેલી જિલ્લા પ્રમુખ જીલુભાઈ વાળા, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મહામંત્રી મહેશભાઈ સોલંકી, રાષ્ટ્રીય બજરંગ દળ અધ્યક્ષ દિલીપભાઈ બામટા, કાર્યકારી પ્રમુખ જીગ્નેશભાઈ કયાડા, નિલેશભાઈ સોલંકી, અમરેલી એસટી યુનિયન પ્રમુખ સંજયભાઈ પોપટ, વિપુલભાઈ ગજેરા, બાલમુકુન્દભાઈ, બાબુભાઈ બમટા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સંગઠન મજબૂત બનાવવા અને હનુમાન ચાલીસા નવા ખોલવા નિર્ણય કરાયો હતો. આ ઉપરાંત હિન્દુ રક્ષા નિધીની યોજના વિશે ચર્ચા કરાઈ હતી. આગામી દિવસોમાં હિન્દુ હી આગે સંમેલન યોજાશે.
સુરતમાં પી.પી.સવાણી પરિવારના આંગણે દરવર્ષે યોજાતા પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીના ભવ્ય લગ્ન સમારોહમાં આજે બીજા દિવસે સમાજના અનેક મહાનુભાવો અને અધિકારીઓની હાજરીમાં કન્યા વિદાયના લાગણીશીલ દ્રશ્યો સર્જાયા હતા. દરેક દીકરીના માથે હાથ મુકીને મહેશ સવાણી પિતા તરીકેની હુંફ આપીને દરેક દીકરીને લગ્ન પછીની તમામ જવાબદારી ઉઠાવવાની ખાતરી પણ આપતા હતા. આ અનોખા લગ્ન સમરોહ યોજાય છે સમુહમાં પણ એમાં દરેક દીકરીને પોતીકો પ્રસંગ લાગે એવી રીતે ઉજવાય છે. 90 ટકા દીકરીઓ એવી કે જેને પિતા કે ભાઈ નથીસ્વાગત કરતા પી.પી.સવાણી પરિવારના મહેશ સવાણીએ જણાવ્યું હતું કે, કોયલડી લગ્ન સમારોહમાં પરણતી 133 કન્યા પૈકી 90 ટકા કન્યા એવી છે જેમના પરિવારમાં પિતા કે ભાઈ કોઈ નથી. અનેક જ્ઞાતિ, સમાજ અને પ્રદેશની દીકરીઓ એક જ માંડવે પરણીને સાસરે જઈ રહી છે. મહેશભાઈ એ જણાવ્યું હતું કે, દીકરીઓની પસંદગીના અનેક ધોરણ નક્કી થયા છે એમાં દીકરીના પિતા ન હોય એ પ્રાથમિકતા છે એ પછી જે દીકરીનો ભાઈ ન હોય એવી દીકરીને પ્રાધાન્ય આપીએ છીએ. આજના લગ્ન સમરોહમાં 56 દીકરીએ પ્રભુતામાં પગલા માંડ્યા છે. આ કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય એવી 16 બહેનોના હસ્તે થયું હતું કે જેમને પોતાના પરિવારજનના અંગદાનની સંમતિ આપી હતી. સુરતમાં પ્રવૃત એવી જીવનદીપ ઓર્ગન ડોનેશન સંસ્થા દ્વારા અંગદાન માટે સતત જાગૃતિની પ્રવૃત્તિ થતી રહે છે એમણે લગ્ન સમારોહમાં પણ અંગદાન જાગૃતિની પ્રવૃત્તિ કરી હતી. રવિવારની મોડી સાંજે લગ્ન અને ઉત્સવના ગીત ગુંજતા હતા એ ધીમે-ધીમે વિદાયના સુરમાં પરિવર્તિત થઇ ગયા અને શાંતિને ભેદીને મંડપમાં ડૂસકાંઓની નાની નાની લહેરો ઉઠવા લાગી. ખુશીના રંગો વિદાયની વેદનામાં રૂપાંતરિત થયા. દીકરીઓ એક પછી એક પોતાની માતાને, બહેનોને, સ્નેહીજનોને ભેટીને રડી રહી હતી, પરંતુ જ્યારે દીકરીઓ પાલક પિતા એવા મહેશભાઈને મળવા આગળ વધી, ત્યારે લાગણીઓના બંધ તૂટી પડ્યા. દીકરી અને મહેશ સવાણી બંનેની આંખોમાંથી આંસુઓનો ધોધ વહેવા લાગ્યો. એ માત્ર આંસુ નહોતા એમાં પિતૃત્વનો સાગર અને નિષ્કામ પ્રેમનો પ્રકાશ હતો. મહેશભાઈ દરેક માંડવામાં પહોંચીને, દરેક દીકરીના માથે હાથ મૂકી, આશીર્વાદ વરસાવી રહ્યા હતા. તુલસી અર્પીને સાસુએ વહુને સ્વીકારીમાહ્યરામાં લગ્નવિધિ પહેલા સાસુએ વહુને તુલસી છોડ અર્પણ કરીને સ્વાગત કરીને સ્વીકારી હતી, આ સ્વીકાર માત્ર વહુ તરીકે નહિ પણ એ વહુની તમામ જવાબદારી સાથે એનો સ્વીકાર પ્રતીકાત્મક રીતે મહેશ સવાણી એ કરાવ્યો હતો. જેને “તુલસીનો ક્યારો” કહેવાય છે, એવી દીકરીઓને સાસુઓએ હાથ પકડી લગ્નમંડપ સુધી દોરી. કોઈ લગ્ન પ્રસંગમાં સાસુઓને આટલું સન્માન અપાયું હોય એવો કદાચ આ પહેલો અવસર હશે. પિતા, પુત્ર અને દીકરીઓના પુસ્તકનું વિમોચનજાણીતા લેખક-વક્તા શૈલેષભાઈ સગપરિયાએ લખેલું વલ્લભભાઈ સવાણીના જીવનચરિત્ર પુસ્તક ‘આરોહણ’ અને મહેશભાઈ સવાણીના જીવનચરિત્ર પર ડો.જિતેન્દ્ર અઢિયાએ લખેલા પુસ્તક ‘પ્રેરણામૂર્તિ’ અને પિતાવિહોણી દીકરીઓના લાગણીસભર પત્રોના પુસ્તક ‘કોયલડી’ નું વિમોચન મહાનુભાવોના હસ્તે થયું હતું. પિતા, પુત્ર અને દીકરીઓના પત્રનું સંકલન કરતુ એવું વિશેષ પુસ્તકનું એક જ મંચ ઉપર એક જ સાથે વિમોચન થયું હોય એવું વિરલ ઘટના બની હતી.
સુરતમાં બે અકસ્માતમાં 6 વર્ષના બાળકોને કચડી માર્યા હોવાની ઘટના સામે આવી છે. પહેલા બનાવમાં નાના વરાછામાં કાર ચાલકે 6 વર્ષના બાળકને કચડી મારતા અરેરાટી ફેલાઈ ગઈ છે. પડોશીએ ગેરેજમાં આપેલી કાર પરત આપવા જતી વેળા ગેરેજના ડ્રાઇવરે અકસ્માત સર્જ્યો હતો. જ્યારે બીજા બનાવમાં લાલગેટ પાલિયા ગ્રાઉન્ડ નજીક કાચા રસ્તા પર રમી રહેલા શ્રમજીવી પરિવારના 6 વર્ષના બાળકને કાર ચાલકે અડફેટે લેતા ગંભીર ઈજા પગલે તેનું મોત થયું હતું. મૃતક બાળકના પિતાએ જણાવ્યું હતું કે કાર ચાલક બુટલેગર છે અને તે પાલિયા ગ્રાઉન્ડ ખાતે પોતાના દારૂના અડ્ડા પર આવતો હતો. ત્યારે બાળકને અડફેટે લીધો હતો. પહેલો બનાવમૂળ અમરેલી જિલ્લાના મોટા લીલીયાના વતની અને હાલ નાના વરાછા ખાતે આવેલ જીવનધારા સોસાયટીમાં રહેતા ચિંતનકુમાર ધોળીયા સચિન જીઆઇડીસી ખાતે ઇલેક્ટ્રોનિક વસ્તુઓનું રીપેરીંગની ઓફિસ ચલાવે છે. તેઓને સંતાનમાં બે પુત્ર છે. ચિંતનકુમારના બે પુત્ર પૈકી નાનો પુત્ર નયેશ (ઉ.વ.6) ગઈકાલે સાંજે 7:00 વાગ્યાના અરસામાં સોસાયટીમાં એકલો રમતો હતો. દરમિયાન ચિંતનકુમારના પડોશીએ ગેરેજમાં આપેલી ફોરવ્હીલ રીપેરીંગ કરી પરત ઘરે મૂકવા આવેલા ગેરેજના ડ્રાઈવરે જીવનધારા સોસાયટીમાં વળાંક લેતા ત્યાં રમી રહેલા નયેશને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી. બાળકને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ગત મોડીરાત્રે નયેશનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વધુ આગળની તપાસ કાપોદ્રા પોલીસ કરી રહી છે. બીજો બનાવમૂળ મધ્યપ્રદેશ રાજ્યના રતલામ જિલ્લાના તંબોલીયા ગામના વતની અને હાલ લાલગેટ ખાતે પાલિયા ગ્રાઉન્ડ નજીક ઝુપડપટ્ટીમાં રહેતા કેવનભાઈ ભાભર છૂટક મજૂરી કામ કરી પત્ની, એક 4 વર્ષની પુત્રી અને એક 6 વર્ષનો પુત્ર અર્જુન સહિતના પરિવારનું ભરણપોષણ કરે છે. અર્જુનની પત્ની પણ છૂટક મજૂરી કામ કરી પરિવારને આર્થિકરીતે મદદરૂપ થાય છે. આજે બપોરે 12:30 વાગ્યાના અરસામાં કેવનભાઈનો પુત્ર અર્જુન ઘર પાસે કાચા રોડ પર રમી રહ્યો હતો. દરમ્યાન પાલિયા ગ્રાઉન્ડ પાસે કાચા રસ્તા પરથી પસાર થઈ રહેલા ફોરવ્હીલ ચાલક સુનિલ દેવદા ( નં.જીજે-05-આરડી-0134) એ અર્જુનને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી અર્જુનને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ સ્થાનિક લાલગેટ પોલીસને થતા જ ઘટના સ્થળે દોડી આવી હતી. અર્જુનના મોતને પગલે પરિવારમાં રોષ જોવા મળ્યો હતો. મૃતક અર્જુનના પિતા કેવનભાઈએ જણાવ્યું હતું કે કારચાલક સુનિલ દેવદા બુટલેગર છે અને તે પાલીયા ગ્રાઉન્ડ ખાતે દારૂનો અડ્ડો ચલાવે છે અને તે દારૂના અડ્ડા પર કાર લઇ આવી રહ્યો હતો. ત્યારે તેમના પુત્રને અડફેટેમાં લીધો હતો અને મોતને ભેટ્યો હતો. આ બનાવ અંગે ઊંડાણપૂર્વકની તપાસ લાલગેટ પોલીસ કરી રહી છે.
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં તા.27 ડિસેમ્બર- 2025થી તા.2 જાન્યુઆરી-2026 સુધી હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજે તા.21 ડિસેમ્બરના બાઈક રેલી યોજાઈ હતી. જેમાં રેલીના રૂટ ઉપર આવતા મંદિરો તેમજ જાહેરમાર્ગો ઉપર વિવિધ સ્થળોએ નિમંત્રણ રેલીનું ફૂલહાર કરીને સ્વાગત કરવામાં આવ્યુ હતુ. હનુમાન ચાલીસા યુવા કથાના નિમંત્રણ માટે શહેરના 6 સ્થળો પરથી રેલી નિકળી હતી. જેમાં સર્વોદય સ્કૂલ-80 ફૂટ રોડ, સયાજી હોટેલ રોડ, સેટેલાઈટ ચોક, ન્યુ એરા સ્કૂલ, શણગાર હોલ-હુડકો તેમજ રેલનગર સહિતના સ્થળો પરથી એકસાથે અલગ-અલગ રાજમાર્ગો થઈને રેલી રેસકોર્સ પહોંચી હતી. હનુમાન ચાલીસા યુવા કથાની નિમંત્રણ રેલીમાં ડીજેના તાલ અને હનુમાનજીના રથ ઉપર પુષ્પવર્ષા થઈ હતી. હનુમાન ચાલીસા યુવા કથાના યજમાનો દ્વારા પણ બાઈક રેલીનું વાજતે-ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતુ અને વધુમાં વધુ યુવાનો આ હનુમાનજી મહારાજની કથામાં જોડાય તેના માટે આહવાન કરવામાં આવ્યું હતુ. પિતાની છત્રછાયા વિનાની 25 વ્હાલુડીના વિવાહ, શાહી લગ્નોત્સવમાં સાસરે જતી દીકરીઓને કરિયાવરમાં 200 ચીજવસ્તુઓ અપાઈ દેશ-વિદેશમાં જાણીતું રાજકોટનું દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ. જે છેલ્લા 28 વર્ષથી માવતરોની સેવા સાથે જે અનેકવિધ પ્રવૃત્તિઓ ચલાવી રહ્યું છે તેમાંની સૌથી વિશેષ પ્રવૃત્તિ એટલે ’વહાલુડીના વિવાહ’. છેલ્લા 7 વર્ષથી પ્રતિ વર્ષ ડિસેમ્બર માસના છેલ્લા રવિવારે માતા-પિતા વિહોણી કે પિતા વિહોણી દીકરીઓના ભવ્ય અને જાજરમાન લગ્નનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે શહેરના નવા 150 ફૂટ રીંગ રોડ પર વિશ્વા પાર્ટી પ્લોટ ખાતે જાજરમાન લગ્નોત્સવ યોજાયો હતો.જેમાં 25 વહાલુડીના શાહી વિવાહ યોજાયા હતા. સંસ્થાના સ્થાપક મુકેશ દોશી અને અનુપમ દોશી સહિતનાએ જણાવ્યું હતુ કે આ સમૂહ લગ્ન નહીં પરંતુ સમૂહ લગ્નથી પણ વિશેષ સવાયા લગ્ન છે. જે રીતે એક શ્રીમંત વ્યક્તિ પોતાની લાડકવાયી દીકરીને પરણાવે તેવા શાહી લગ્નનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે તમામ 25 દીકરીઓને વોશિંગ મશીન, ફ્રિજ સહિતની 200થી વધુ વસ્તુઓના સમૃદ્ધ કરીયાવર દાતાઓના સહયોગથી આપવામાં આવી હતી.
અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં આવેલી જૂની કલેક્ટર કચેરીના કોર્ટ કમ્પાઉન્ડમાં પાર્કિંગ મુદ્દે થયો ઝઘડો થયા બાદ એક મહિલા વકીલ પર હુમલો થયો હતો. સામાન્ય બોલાચાલી બાદ એક શખ્સે મહિલા વકીલને 4થી 5 લાફા મારી જમીન પર પાડી દીધા હતા. જ્યારે ઝપાઝપી દરમિયાન તેમની સોનાની ચેન ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. વાહન સરખુ પાર્ક કરવાનું કહેતા શખસનો મહિલા વકીલ પર હુમલોઅમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા મહેશ્વરીબેન સુતરીયા આ ઘટનામાં ભોગ બન્યા છે. 19 ડિસેમ્બરે બપોરે અંદાજે 12:30 વાગ્યે મહેશ્વરીબેન કોર્ટ કમ્પાઉન્ડમાં પોતાના ટેબલ પર કામ કરી રહ્યા હતા. તે સમયે મેટ્રો કોર્ટમાં પ્રેક્ટિસ કરતા સમસાદબાનુ શેખ અને જહાંગીરખાન પઠાણ વાહન લઈને ત્યાં આવ્યા હતા. પાર્કિંગ ફૂલ હોવાથી મહેશ્વરીબેને વાહન યોગ્ય રીતે પાર્ક કરવા અને અવરજવર માટે જગ્યા રાખવાની વાત કરી હતી. આ વાતથી ઉશ્કેરાઈને જહાંગીરખાન પઠાણે મહેશ્વરીબેનના મોઢા પર સતત 4-5 લાફા મારી દીધા હતા. જેના કારણે તેઓ નીચે પડી ગયા હતા. ત્યારબાદ સમસાદબાનુ શેખે પણ ગડદા-પાટુનો માર માર્યો હતો. ઝઘડામાં મહિલા વકીલની સોનાની ચેઈન ગુમ થઈઆ દરમિયાન થયેલી ઝપાઝપીમાં મહેશ્વરીબેનના ગળામાં પહેરેલી સોનાની ચેન પડી ગઈ હતી. જે બાદમાં મળી ન આવી. ઘટનાસ્થળે હાજર અન્ય વકીલોએ વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો. બાદમાં આરોપીઓના નામ જાણવા મહેશ્વરીબેન મેટ્રો કોર્ટ ગયા ત્યારે સિનિયર વકીલ રમેશભાઈ છતલાણીએ તેમને ધમકી આપ્યાનો પણ આરોપ લગાવ્યો છે. હાલમાં મહેશ્વરીબેન સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. કારંજ પોલીસે સમસાદબાનુ શેખ, જહાંગીરખાન પઠાણ અને રમેશભાઈ છતલાણી સામે ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે. થલતેજમાં અજાણ્યો શખસ મહિલાનું પર્સ ઝૂંટવી ફરારથલતેજ વિસ્તારમાં રહેતા 51 વર્ષીય ગીતાબેન શીલજ ગામમાં બેંક ઓફ બરોડામાં ગયા હતા. થલતેજ હિંગળાજ કોમ્પલેક્ષથી રિક્ષામાં બેસીને બાગબાન ચાર રસ્તા પાસે પહોંચ્યા હતા. ત્યારે બ્યુટી પાર્લર માંથી કસ્ટમર હેર કટીંગ માટે આવ્યા હોવાનો ફોન આવ્યો હતો. જેથી ગીતાબેન ઘરે પરત જવા બાગબાન ચાર રસ્તા પાસે રિક્ષામાંથી ઉતરી ગયા હતા. તે દરમિયાન સાંજના સાડા ચાર વાગ્યે આસપાસ ટુ-વ્હીલર મોપેડ પર બે અજાણ્યા શખ્સો આવ્યા હતા. તેમાંથી પાછળની સીટ પર બેઠેલા અજાણ્યા શખ્સે ગીતાબેન પાસેથી પર ઝૂંટવી લીધું હતું. ગીતાબેન કઈ વિચારે તે પહેલા જ બંને અજાણ્યા શખ્સો મોપેડ પર સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ગીતાબેનના પર્સમાં 10 હજાર રૂપિયા રોડકા અને કોટક મહેન્દ્ર બેન્ક ની અને બેન્ક ઓફ બરોડાની એફ. ડીના કાગળો, પાસબુક, ચેકબુક હતી. જેથી ગીતાબેને મોપેડ પર આવેલા બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ચંદ્રુમાણામાં 6 દિવસ બાદ પાણી લીકેજ રિપેર થયું:ગ્રામજનોને પાણીની સમસ્યામાંથી મુક્તિ મળી
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે નવી ડેરી ચાર રસ્તા પાસે છેલ્લા છ દિવસથી થયેલ પાણીનું લીકેજ આખરે દૂર કરવામાં આવ્યું છે. રવિવારે સાંજે સમારકામ પૂર્ણ થતાં, લાઈન દ્વારા પાણી મેળવતા ગ્રામજનોને પાણીની સમસ્યામાંથી મુક્તિ મળી છે. સરપંચ કાજલબેન ચેતનભાઇ વ્યાસની સૂચનાથી રીપેરીંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. ખોદકામ દરમિયાન જૂની, ફૂટેલી અને દબાઈ ગયેલી પાંચથી છ પાણીની લાઈનો મળી આવી હતી.આ જગ્યાએ બે વખત જોડાણ કરવું પડ્યું હતું અને ત્યારબાદ અસલ લાઈન શોધીને તેમાં જોડાણ કરીને લીકેજ બંધ કરવામાં આવ્યું હતું. સરપંચ કાજલબેન વ્યાસે જણાવ્યું હતું કે ગામમાં લોકોને સુચારુ રૂપે પાણી પુરવઠો મળી રહે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.તેમણે ઉમેર્યું કે ગામનું પાણી લાઈન નેટવર્ક જૂનું હોવાથી અવારનવાર અલગ અલગ સ્થળે પાણીના લીકેજ થઈ રહ્યા છે. છેલ્લા ચાર માસથી ગ્રામ પંચાયત દ્વારા આવા લીકેજનું સતત રીપેરીંગ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ શાળાએ જવાના રસ્તા ઉપર ૧૫ ફૂટ જેટલું ખોદકામ કરીને એક મોટું લીકેજ પણ દૂર કરવામાં આવ્યું હતું.
પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિધાલય અમદાવાદ ઝોનની ઈશ્વરીય સેવાઓની 60 વર્ષની સફળ યાત્રા નિમિત્તે હીરક જ્યંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. GMDC ગ્રાઉન્ડમાં શાંતિ અનુભૂતિનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત બ્રહ્માકુમારીઝ દ્વારા વિશ્વ ધ્યાન દિવસના અવસરે એકસાથે 60 હજારથી વધુ લોકો દ્વારા ધ્યાન કરીને વર્લ્ડ રેકોર્ડ રચવામાં આવ્યો છે. સમગ્ર વિશ્વમાં આ પ્રથમ અવસર હશે. જ્યારે વિશ્વ ધ્યાન દિવસ પર આટલી મોટી સંખ્યામાં લોકો એક જ સમયે એકસાથે વિશ્વ શાંતિની કામના સાથે શાંતિના પ્રકંપ ફેલાવ્યા છે. તમામ લોકો એકસાથે શાંતિ ધ્યાન કર્યું હતું. આ ઐતિહાસિક કાર્યક્રમને સફળ બનાવવા માટે બ્રહ્માકુમારીઝના ગુજરાત ઝોન દ્વારા વ્યાપક સ્તરે તૈયારીઓ કરવામાં આવી હતી. 21 ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ પાસ કર્યો હતોયુ.એન. મહાસભાએ માનવ સ્વાસ્થ્યમાં ધ્યાનની મહત્તા અંગે જાગૃતિ વધારવાના ઉદ્દેશથી વર્ષ 2024માં 21 ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ પાસ કર્યો હતો. આ વર્ષે તેનો બીજો ઉજવણી દિવસ છે. બ્રહ્માકુમારીઝ દ્વારા અમદાવાદના આંગણે હીરક જયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ગરવી ગુજરાતની ઈશ્વરીય સેવાઓની 60 વર્ષની સફળ યાત્રા નિમિત્તે સમગ્ર ગુજરાત ભવ્ય સ્વરૂપે હીરક જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. બ્રહ્માકુમારીઝ છેલ્લા ઘણા વર્ષોથી શાંતિ સ્થાપનાનું કામ કરી રહી છેઅત્યારે શાંતિ મળે તેવું સૌ કોઈ ઇચ્છી રહ્યા છે. વિશ્વ શાંતિ માટે લોકો અનેક પ્રયાસ કરી રહ્યા છે. મનને શાંતિ કઈ રીતે મળે તે માટે લોકો લાખો રૂપિયા ખર્ચ કરવા માટે તૈયાર થઈ જતા હોય છે પરંતુ, બ્રહ્માકુમારીઝ છેલ્લા ઘણા વર્ષોથી શાંતિ સ્થાપનાનું કામ કરી રહી છે. દરેક લોકો શાંતિ ઇચ્છે છે. તે લક્ષ્ય સાથે GMDC ગ્રાઉન્ડ ખાતે શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં બ્રહ્માકુમારીઝના 60 હજાર જેટલા અનુયાયીઓ એકસાથે યોગ કરીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. 300થી વધુ ગુજરાતના એનઆરઆઈ પણ સામેલ થયા હતાબ્રહ્માકુમારી સંસ્થા દ્વારા વિશ્વ ધ્યાન દિવસ પર વર્લ્ડ રેકોર્ડ રચવામાં આવ્યો છે. વિશ્વ શાંતિની માટે સાંજે 6.45થી 7.30 વાગ્યા સુધી એકસાથે 60 હજાર લોકોએ રાજયોગ કર્યા હતા. ગુજરાત ભરમાંથી લોકો વિશ્વ શાંતિ માટે પહોંચ્યા હતા. જેમાં 300થી વધુ ગુજરાતના એનઆરઆઈ પણ સામેલ થયા હતા. જે વિશ્વના વિવિધ દેશોમાં બ્રહ્માકુમારીઝ સાથે જોડાયેલા છે. શહેરના 90થી વધુ પ્રતિષ્ઠિત વીવીઆઈપી ખાસ ઉપસ્થિત રહી રાજયોગ ધ્યાન કર્યા હતા. ભારતભરમાં ‘બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ’ ચલાવવામાં આવ્યો હતો24 ઑક્ટોબરથી 21 ડિસેમ્બર સુધી બ્રહ્માકુમારીઝ ગુજરાત ઝોન દ્વારા સમગ્ર ભારતભરમાં ‘બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ’ ચલાવવામાં આવ્યો હતો. જેમાં લોકોને ધ્યાનમાં બેસીને વિશ્વને શાંતિનું દાન આપવા માટે ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટનો હેતુ રાજયોગ મેડિટેશન દ્વારા વિશ્વમાં શાંતિના પ્રકંપનો ફેલાવવાનો અને વિશ્વને શાંતિમય બનાવવાનો છે. અભિયાન સાથે જોડાયેલા દરેક ભાગીદાર માટે ઓછામાં ઓછા 21 દિવસ સુધી રોજ ઓછામાં ઓછા 5 મિનિટ ધ્યાન કરશે. આ પ્રોજેક્ટમાં રાજ્યભરની શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, સિનિયર સિટિઝન ગ્રુપ, કોર્પોરેટ કંપનીઓ, ફેક્ટરીઓ, ઉદ્યોગો સાથે જોડાયેલા લોકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. પ્રોજેક્ટનું સમાપન વિશ્વ ધ્યાન દિવસ પર કરવામાં આવ્યું હતું. જેનો વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરીને યુએનમાં સબમિટ કરવામાં આવશે. હીરક જયંતિ ઉત્સવ તરીકે આખું વર્ષ ઉજવણી કરવામાં આવી40 વર્ષથી સંસ્થામાં સમર્પિત બ્રહ્માકુમારી ગીતાબેને જણાવ્યું હતું કે, ગુજરાતમાં બ્રહ્માકુમારી સંસ્થાની સેવાઓમાં 60 વર્ષ પૂરા થયા છે. હીરક જયંતિ ઉત્સવ તરીકે આખું વર્ષ ઉજવણી કરવામાં આવી છે. જેના અંતર્ગત અલગ અલગ પ્રોજેક્ટ કરવામાં આવ્યા હતા. આજે 60 હજાર ભાઈઓ અને બહેનો એકત્રીય થયા છે. ચાર કલાક માટે આખી વિશ્વમાં શાંતિ માટે ધ્યાન કર્યું. લોકો પોતાની સકારાત્મક શક્તિઓ કઈ રીતે ઉપયોગ કરી શકે તે શીખવવામાં આવ્યું55 વર્ષથી સમાજ સેવામાં સમર્પિત બ્રહ્માકુમારી શારદાબેને જણાવ્યું હતું કે, ગુજરાતમાં બ્રહ્માકુમારીઝ સેવાઓના 60 વર્ષ પૂરા થયા છે. અંધવિશ્વાસ, અનૈતિકતા, ચોરી જેવી અનેક ખોટી આદતોને છોડીને રાજયોગ મેડીટેશન કર્યું હતું. જેમાં તેમાં હિંમત આવી અને આત્મવિશ્વાસ પેદા થયો હતો. મેડીટેશનના કારણે આ તમામ લોકોને એવી શક્તિ મળી કે તેમને ખોટા વિચારો પર વિજય પ્રાપ્ત કર્યો છે. રાજયોગ પરિવારમાં જે સમસ્યાઓ આવે છે તેનું સમાધાન લાવવામાં મદદરૂપ થાય છે. મનની અશાંતિ અને તણાવને મુક્ત કરવા માટે ખૂબ ઉપયોગી થાય છે. જે યુવાનો ગુમરાહ થઈ રહ્યા છે તે લોકો પોતાની સકારાત્મક શક્તિઓ કઈ રીતે ઉપયોગ કરી શકે તે શીખવવામાં આવ્યું છે. તણાવને પણ આ મેડીટેશન દૂર કરવા માટે ખૂબ મદદ કરે છેવધુમાં જણાવ્યું હતું કે, વિશ્વમાં અત્યારે અશાંતિ, તણાવ અને યુદ્ધના વાદળો વંટોળાઈ રહ્યા છે. દરેકમાં એ પ્રશ્ન ઉદભવી રહ્યો છે કે માનવ જાતિનું શું થશે ? એવામાં રાજીયોગ આ તમામ લોકોના મનમાં શાંતિ અને હિંમત લાવવાનો પ્રયાસ કરશે. પોતાના અંદર જે અવિશ્વાસ અને વાયુમંડળમાં જે તણાવ છે તે તણાવને પણ આ મેડીટેશન દૂર કરવા માટે ખૂબ મદદ કરે છે. તેમજ લોકોને વિચારવાની શક્તિ આપે છે. જેનો લોકોને અહેસાસ થાય છે કે આવનારું ભવિષ્ય ઘણું સારું હશે અને આપણો સૌનો લક્ષ્ય છે કે જે સુવર્ણભૂમિ હતી ગાંધીજીના રામ રાજ્યને મર્યાદા પુરુષોત્તમ બનીને જેમાં રાજ્યો ખૂબ મદદ કરે છે અને શક્તિ પૂરી પાડે છે.
પાટણ SOG ટીમે બાલીસણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 3.004 કિલોગ્રામ ગાંજા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. ગુજરાત સરકારના નશામુક્ત અભિયાન અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી. SOG ટીમ રુની ગામ નજીક પેટ્રોલિંગમાં હતી ત્યારે સિદ્ધપુર તરફથી આવતી એક શંકાસ્પદ પલ્સર બાઇકને રોકવામાં આવી હતી. વાહન ચેકિંગ દરમિયાન બાઇક પરથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બાઇક પર સવાર જીગ્નેશકુમાર રજનીકાંત પરમાર (રહે. મોટીસરા આંબેડકર ચોક, પાટણ) અને નરેશકુમાર સવજીભાઈ સોલંકી (રહે. અધારા દરવાજા, પાટણ) નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી 3.004 કિલોગ્રામ ગાંજો, જેની કિંમત રૂ. 1,50,200 છે, તે ઉપરાંત બે મોબાઈલ ફોન (કિંમત રૂ. 10,000) અને એક બજાજ પલ્સર મોટરસાયકલ (કિંમત રૂ. 75,000) મળી કુલ રૂ. 2,35,200નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં વલસાડી ગામના અરજણ બુબડીયા નામના અન્ય એક શખ્સનું નામ ખુલતા તેને પકડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી માટે બાલીસણા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
વલસાડમાં નાતાલ પૂર્વે ખ્રિસ્તી સમાજની રેલી:લોકોના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરાઈ
વલસાડ શહેરમાં નાતાલ પર્વની પૂર્વસંધ્યાએ ખ્રિસ્તી સમાજ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેમાં લોકોને નાતાલની ઉજવણીમાં જોડાવા આમંત્રણ અપાયું હતું. આ પ્રસંગે ખ્રિસ્તી સમાજના અગ્રણીઓએ સર્કિટ હાઉસ પાસે શહેરના લોકોના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. નાતાલ પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે વલસાડના ખ્રિસ્તી સમાજે શહેરના લોકોને આ પર્વમાં સામેલ કરવા માટે આ રેલી યોજી હતી. રેલી દ્વારા સમાજે વલસાડમાં વસતા તમામ લોકોને નાતાલના હર્ષ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં જોડાવા નિમંત્રણ પાઠવ્યું હતું. આ રેલી દરમિયાન, ખ્રિસ્તી સમાજના લોકોએ શહેરના મુખ્ય માર્ગો પર ફરીને નાતાલ પર્વની ઉજવણીમાં જોડાવા માટે લોકોને આમંત્રણ આપ્યું હતું. તેમણે પ્રભુ ઈસુ દ્વારા કરવામાં આવેલા કાર્યોની ગાથા ભજન સ્વરૂપમાં સંભળાવી હતી અને ઈસુના જન્મ ઉત્સવની ઉજવણીમાં સહભાગી થવા વિનંતી કરી હતી. વલસાડ સર્કિટ હાઉસ પાસે, ખ્રિસ્તી સમાજના અગ્રણીઓએ વલસાડ શહેરમાં વસતા તમામ લોકોના સારા સ્વાસ્થ્ય, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રભુ ઈસુને પ્રાર્થના કરી હતી. આગામી દિવસોમાં વલસાડ સહિત દેશ અને દુનિયામાં નાતાલ પર્વની ઉજવણી થવા જઈ રહી છે.
વડોદરા જિલ્લાના નંદેસરી પોલીસે 4 કિલો 415 ગ્રામનો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે અને 73 વર્ષીય ચંદુભાઈ સામંતભાઈ પરમારની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. નંદેસરી પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ અને નાર્કોટિક્સ સંબંધિત પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી હતી. આજરોજ મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે અનગઢ ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલા પરમાર ફળીયામાં રહેતા ચંદુભાઈ સામંતભાઈ પરમારના રહેણાંક મકાન પાસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન આરોપી પાસેથી ૪ કિલો ૪૧૫ ગ્રામ પોપી (ડોડા)નો જથ્થો (આશરે રૂ. ૬૬,૨૨૫ની કિંમત), તેને ભરવા માટે વપરાયેલ કાપડની થેલી, લોખંડનો વજન કાટો તેમજ વજનીયા (આશરે રૂ. ૫૦૦), અને એક સાદો કીપેડ મોબાઇલ ફોન (આશરે રૂ. ૫૦૦) મળીને કુલ રૂ. ૬૭,૨૨૫નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપી ચંદુભાઈ સામંતભાઈ પરમાર (ઉ.વ. ૭૩, રહે. અનગઢ ગામ, બસ સ્ટેન્ડ પાસે પરમાર ફળીયા, તા. વડોદરા) વિરુદ્ધ નંદેસરી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત વડોદરા શહેરના પોર વિસ્તારમાં નેશનલ હાઈવે નંબર 48 ઉપર સતલુજ પંજાબી ઢાબા સામે ગઈકાલે સાંજે હિટ એન્ડ રન અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં તરસાલી વિસ્તારના રહેવાસી ધનશ્યામભાઈ પંચાલને ગંભીર ઈજા પહોંચી હતી, જેના કારણે તેમનું સારવાર દરમિયાન મોત થયું છે. મૃતકનાં પત્ની ઉષાબેન ધનશ્યામભાઈ પંચાલે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે તા. 19 ડિસેમ્બરના રોજ સાંજે આશરે 6 વાગ્યે તેમના પતિ ધનશ્યામભાઈ કામ પરથી છૂટ્યા બાદ પોર ખાતે આવેલા વિશ્વકર્મા મંદિરે દર્શન કરવા જવા માટે રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન સુરતથી અમદાવાદ તરફ જતા અજાણ્યા વાહનના ચાલકે તેમને અડફેટે લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. અકસ્માત બાદ ઘનશ્યામભાઈને ગંભીર ઈજાઓ થતાં તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા મકરપુરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે છાણીની સત્યમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ કપુરાઈ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે હિટ એન્ડ રનનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ અકસ્માત કરનાર વાહન અને ચાલકની શોધખોળ કરી રહી છે. આ અકસ્માતથી પરિવારમાં શોકનું મોજું છવાઈ ગયું છે.
ચંડીસર GIDCમાં ગેરકાયદેસર ઘી ઉત્પાદનનો પર્દાફાશ:રૂ. 24 લાખનો જથ્થો જપ્ત કરાયો
પાલનપુરના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ચંડીસર જી.આઇ.ડી.સી.માં ગેરકાયદેસર ઘી ઉત્પાદનનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. બાતમીના આધારે પ્લોટ નં. 101 ખાતે શંકાસ્પદ ઘીનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ થતું હોવાની તપાસ હાથ ધરવામાં આવી હતી. ડેઝિગ્નેટેડ ઓફિસર ટી.એચ.પટેલના માર્ગદર્શન હેઠળ સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર એચ.વી. ગુર્જર સહિતની ટીમે આ કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં ભાવેશ કુમાર અશોકભાઇ ચોખાવાલા દ્વારા કોઈપણ કાયદેસર પરવાનગી વિના આ વ્યવસાય ચલાવવામાં આવતો હોવાનું જણાયું હતું. પેઢીના જવાબદારો હાજર ન રહેતા, જાહેર આરોગ્યના હિતમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ–2006 હેઠળ પેઢીને સીલ કરવામાં આવી હતી. ત્યારબાદ સરકારી પંચો અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘી, પામોલીન તેલ, લેબલ વગરના પ્રવાહી અને અન્ય ભેળસેળયુક્ત પદાર્થોનો સંગ્રહ મળી આવ્યો હતો. કુલ 09 નમૂનાઓ લઈ સરકારી ફૂડ લેબોરેટરી ખાતે ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં અંદાજિત રૂ. 24,09,967/- કિંમતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. વધુમાં, પેઢીમાંથી એક્સપાયરી ડેટનું ઘી તથા “ઘુમર” નામે ગાય અને ભેંસના ઘીનું ઉત્પાદન કરી જુદા જુદા રાજ્યોમાં વેચાણ થતું હોવાનું પણ બહાર આવ્યું છે. આ સમગ્ર મામલે જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ–2006 હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તેમ ફૂડ સેફ્ટી વિભાગે જણાવ્યું હતું.
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના સુખેશ ગામમાં સરપંચ અને ગ્રામજનો વચ્ચેનો વિવાદ ઉગ્ર બન્યો છે. ગામના જાગૃત નાગરિક કૃણાલ પટેલ સામે નોંધાયેલી પોલીસ ફરિયાદ અને પંચાયતમાં કથિત ભ્રષ્ટાચારના આક્ષેપોને કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુખેશ ગામના જાગૃત નાગરિક કૃણાલ પટેલે ગામની ગૌચરની જમીન પરના ગેરકાયદેસર દબાણો અને પંચાયતના વહીવટમાં થતી ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવ્યો હતો. ગ્રામજનોનો આક્ષેપ છે કે, આ લડતને દબાવવા માટે ગામના સરપંચ અને પારડી તાલુકા ભાજપ પ્રમુખ પુનીત પટેલ દ્વારા સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, ગ્રામસભા દરમિયાન પંચાયતના રજિસ્ટરમાં લખાણ વગર જ સભ્યોની સહીઓ લેવામાં આવતી હતી. જાગૃત નાગરિકોએ તપાસ કરતા રજિસ્ટરમાં ઘણા પેજ કોરા હોવાનું જાણવા મળ્યું હતું. ગ્રામજનોની હાજરીમાં તલાટી દ્વારા આ કોરા પેજ પર લીટા મારવામાં આવ્યા હતા જેથી તેનો દુરુપયોગ ન થઈ શકે. જોકે, ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે, સરપંચે આ મામલે કૃણાલ પટેલ પર રજિસ્ટર સાથે છેડછાડ કરવાનો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ખોટી ફરિયાદ કરવાનો આરોપ લગાવ્યો છે. ગ્રામજનો આ ફરિયાદને સત્તાના દુરુપયોગ તરીકે જોઈ રહ્યા છે. વોર્ડ નંબર 3 ના સભ્ય દીપિકાબેન પટેલે પણ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, સુખેશ પંચાયતમાં પારદર્શિતાનો અભાવ છે અને કૃણાલ પટેલને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે, સુખેશના સરપંચ પોતાની રાજકીય વગનો ઉપયોગ કરીને અવાજ ઉઠાવનારાઓને ડરાવી રહ્યા છે. આ મામલે સેંકડો ગ્રામજનો એકઠા થયા હતા અને ન્યાયની માંગ કરી હતી. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો કૃણાલ પટેલને ન્યાય નહીં મળે અને ભ્રષ્ટાચારની તપાસ નહીં થાય, તો આગામી સમયમાં કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
બે ગુનામાં ફરાર આરોપી ઝડપાયો:સુરેન્દ્રનગર SOGએ થાનગઢમાંથી આરોપીને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી
સુરેન્દ્રનગર SOGએ આણંદ જિલ્લાના બે શરીર સંબંધિત ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીને થાનગઢના હિટરનગર વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યો હતો અને વધુ તપાસ માટે થાનગઢ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વી.એમ. રબારીએ જિલ્લામાં શરીર સંબંધિત અને મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, SOG સ્ટાફના PSI આર.જે. ગોહિલને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં વોન્ટેડ આરોપી જીતેન્દ્રભાઈ હરિભાઈ મારાજ (ઉં.વ. 32, રહે. વિદ્યાનગર, ચૈતન્ય હરિ સોસાયટી, આણંદ) હાલ સુરેન્દ્રનગરના થાનગઢ ગામના હિટરનગર ખાતે હાજર છે. આ બાતમીના આધારે તપાસ કરતા ઉપરોક્ત ઈસમ મળી આવ્યો હતો. પૂછપરછમાં તેણે પોતાનું નામ જીતેન્દ્રભાઈ હરિભાઈ મારાજ હોવાનું અને પોતે ઉપરોક્ત ગુનાઓમાં નાસતો-ફરતો હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ તેને પકડી પાડીને વધુ તપાસ માટે થાનગઢ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ કામગીરીમાં PI બી.એચ. શિંગરખીયા, PSI એન.એ. રાયમા, PSI આર.જે. ગોહિલ, અનિરુદ્ધસિંહ અભેસંગભાઈ ખેર, મુન્નાભાઈ નાનજીભાઈ રાઠોડ, મીતભાઈ દિલીપભાઈ મુંજપરા અને જગમાલભાઈ અંબારામભાઈ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
દ્વારકા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'હર ઘર સ્વદેશી', 'વોકલ ફોર લોકલ' અને મહિલા સશક્તિકરણના સંકલ્પને સાકાર કરવા ત્રિ-દિવસીય 'સશક્ત નારી મેળા'નો પ્રારંભ થયો છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાના હસ્તે 21 થી 23 ડિસેમ્બર દરમિયાન યોજાનારા આ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ (જિલ્લા ગ્રામ વિકાસ) દ્વારા આયોજિત આ મેળો મહિલા સશક્તિકરણ માટે એક ઉત્તમ મંચ પૂરો પાડે છે. મંત્રી અર્જુન મોઢવાડીયાએ આ મેળાને મહિલા સશક્તિકરણ, આત્મનિર્ભરતા અને સર્વાંગી વિકાસનો ત્રિવેણી સંગમ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પરમાત્માએ મહિલાઓને અદમ્ય સર્જનશક્તિ પ્રદાન કરી છે. ગામડાઓની મહિલાઓ, જે અગાઉ રોજગારી માટે પ્રયત્ન કરતી હતી, તે હવે સખીમંડળો દ્વારા અન્ય મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવી રહી છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજાએ જણાવ્યું કે, આ મેળો દ્વારકા જિલ્લાની સશક્ત બની રહેલી નારીઓનું પ્રતિક છે. મહિલાઓ સખીમંડળો દ્વારા વસ્તુઓ તૈયાર કરીને વેચાણ કરી આત્મનિર્ભર બની રહી છે. જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાએ સરકાર દ્વારા સખીમંડળોને અપાતી સહાય અને પ્રોત્સાહનની પ્રશંસા કરતા કહ્યું કે, આ મેળો મહિલાઓની કલા અને હુન્નરને પ્રદર્શિત કરવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડે છે, જેનાથી તેમને આર્થિક રીતે ગૌરવભેર પગભર થવાની તક મળે છે. મંત્રી અર્જુન મોઢવાડીયા સહિતના મહાનુભાવોએ હસ્તકલા સહિતના ઉત્પાદિત વસ્તુઓના સ્ટોલની મુલાકાત લઈ સ્ટોલધારકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ મેળામાં મહિલા ઉદ્યોગ સાહસિકો, સ્વસહાય જૂથો, મહિલા ખેડૂતો અને સહકારી સંસ્થાઓના સ્વદેશી ઉત્પાદનોનું પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવી રહ્યું છે. હેન્ડિક્રાફ્ટ્સ, હેન્ડ પેઇન્ટિંગ, મડ વર્ક સહિતના અંદાજિત 50 જેટલા સ્ટોલ ઉપલબ્ધ છે, જ્યાં દ્વારકાના નગરજનો અને પ્રવાસીઓ સ્વદેશી વસ્તુઓની સીધી ખરીદી કરી શકશે. આ ઉપરાંત, મહિલા સાહસિકો, લખપતિ દીદી, ડ્રોન દીદી અને આરોગ્ય સહિતના ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારી મહિલાઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.
વેરાવળમાં ત્રિ-દિવસીય 'સશક્ત નારી મેળો' શરૂ:'આત્મનિર્ભર ભારત' અભિયાન હેઠળ મહિલા સશક્તિકરણ પર ભાર
વેરાવળના કે.સી.સી. મેદાન ખાતે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિ. (ગ્રામ વિકાસ વિભાગ) દ્વારા આયોજિત ત્રિ-દિવસીય 'સશક્ત નારી મેળો – 2025'નો પ્રારંભ થયો છે. આ મેળાનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્યો ભગવાન બારડ અને વિમલ ચુડાસમા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ મેળો 'આત્મનિર્ભર ભારત: સ્વદેશી અપનાવો' અભિયાન હેઠળ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયો છે. ઉદ્ઘાટન પ્રસંગે મંજૂલાબહેન મૂછારએ જણાવ્યું કે, રાજ્ય સરકારના પ્રયત્નોથી મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 'મિશન મંગલમ' યોજના મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ છે. કલેક્ટર એન.વી. ઉપાધ્યાયએ ભારપૂર્વક જણાવ્યું કે, આત્મનિર્ભરતાની શરૂઆત મહિલા સશક્તિકરણથી થાય છે અને મહિલાઓ મજબૂત બનશે તો દેશ પણ મજબૂત બનશે. તેમણે ઉમેર્યું કે, જિલ્લામાં 6 હજારથી વધુ સ્વ-સહાય જૂથોની રચના થકી છેવાડાના વિસ્તારોની મહિલાઓને ઘરઆંગણે રોજગાર અને વેચાણ માટે યોગ્ય પ્લેટફોર્મ મળી રહ્યું છે. તા. 21 થી 23 ડિસેમ્બર, 2025 દરમિયાન ચાલનારા આ મેળામાં 60 જેટલા સ્ટોલ દ્વારા વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ (ODOP), હસ્તકલા અને ગૃહઉદ્યોગની ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે. આ પ્રસંગે મહિલા ખેડૂત, લખપતિ દીદી, ડ્રોન દીદી, ઉદ્યોગસાહસિક મહિલાઓ અને મહિલા રમતવીરો સહિત વિવિધ ક્ષેત્રની નારી રત્નોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશીએ સ્વાગત પ્રવચન આપી મેળાની રૂપરેખા રજૂ કરી હતી અને મહિલાઓને આ પ્લેટફોર્મનો સદુપયોગ કરવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબહેન જાની, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, અગ્રણી ડૉ. સંજય પરમાર, વિક્રમ પટાટ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજા સહિત મોટી સંખ્યામાં મહિલાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ મેળો 'હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી' અને 'વોકલ ફોર લોકલ'ના સંકલ્પને સાકાર કરી મહિલાઓ માટે આત્મનિર્ભરતાનો મજબૂત માર્ગ પ્રસ્થાપિત કરી રહ્યો છે.
મહારાષ્ટ્ર ખાતે રહેતા વૃદ્ધ કંપનીના માલિકને સોલાર પ્રોજેક્ટ તથા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ઉભા કરવા માટે રૂપિયા 300 કરોડની બિઝનેશ લોન અપાવવાનુ કહીને તેમની પાસેથી રૂપિયા 30 લાખ કમિશન પેટે પડાવ્યા હતા. પરંતુ લોન નહી થતા રૂપિયા પરત માગતા માત્ર 2.50 લાખ પરત આપ્યાં હતા જ્યારે બાકીના રૂપિયા 22.50 લાખ આજ દીન સુધી પરત નહી આપતા માતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. વારંવાર ફોન કરતા ઠગો ફોન પણ ઉપાડતા ન હતા. મૂળ વાપીના અને હાલમાં મહારાષ્ટ્રમાં રહેતા વૃદ્ધ (ઉં.વ.71)એ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, હું દીકરા સાથે મળીને વાપી-વલસાડ ખાતે હિરેન એન્ટરપ્રાઇઝ નામની કેમિકલ મેન્યુફેક્ચરીંગ કંપની ચલાવીએ છીએ. વર્ષ 2021માં સમયગાળા દરમિયાન મારી રાધીકા ઈન્ટરમીડીએસ્ટ નામની કંપની વાપી જીઆઇડીસી વલસાડ ખાતે છે. ત્યારે કંપનીમા સોલાર પ્રોજેક્ટ તથા ગ્રીન હાઇડ્રોજનના પ્લાન્ટ ઉભા કરવા માટે નાણાની જરૂરીયાત હતી. જેથી મે મારા મિત્ર ગીરીશ શુક્લાજી પાસે મારી રાધીકા ઈન્ટરમીડીએસ્ટ કંપનીના પ્રોજેકટ ઉભા કરવા માટે નાણાની જરૂરીયાત માટેની વાત કરવા માટે ગયો હતો. ત્યારે તેમણે વડોદરામાં સીગ્નેટ હબ કોમ્પલેક્ષમાં નયના મહીડા સહયોગ ફાઇનાન્સીયલ સર્વીસ નામથી ઓફીસ ચલાવે છે. તેઓ લોન કરી આપશે. મારી કંપનીના પ્રોજેક્ટ માટે નાણાની ખુબ જ જરૂરીયાત હોય હુ નયના મહીડાની સહયોગ ફાઇનાન્સીયલ સર્વીસની ઓફીસ અક્ષર ચોક ખાતે આવ્યો હતો. ત્યાં નયના મહીડા તથા તેમના દીકરા આકાશ મહીડાને કંપનીમાં સોલાર પ્રોજેક્ટ તથા ગ્રીન હાઇડ્રોજનના પ્લાન્ટ ઉભા કરવા નાણાની જરૂરીયાત છે. નયનાબેન મહીડાએ તેઓ ઘણા સમયથી લોન એજન્ટ તરીકેનુ કામ કરવા સાથે સહયોગ ફાઇનાન્સીયલ સર્વિસ નામની પેઢીથી અમને જેટલા રુપીયાની લોન જરૂર હશે એટલા તમને મળી જશે તેમ જણાવ્યુ હતું. અમારી બીજનેસ લોન તેઓ ચોક્કસ પણે કરાવી આપશે તેવો ભરોસો આપ્યો હતો. નયનાબેન તથા તેના દીકરા આકાશ મહીડાને અમારે 300 કરોડની બીઝનેસ લોનની જરૂરીયાત છે. તેવી વાત કરતા તેમણે જો તમારે 300 કરોડની લોન કરાવવી હશે તો અમે તમને 4 ટકા વ્યાજના દરથી લોન મંજુ૨ કરાવી આપીશું. તમારે અમને લોન એજન્ટ તરીકેનું 30 લાખ રૂપિયા કમિશન આપવું પડશે. ત્યારબાદ માતા અને પુત્રે મારી પાસેથી સહયોગ ફાઈનાન્સીયલ પેઢીના એકાઉન્ટમાં એકાઉન્ટમા રૂપીયા 25 લાખ કમિશન પેટે લીધા હતા, પરંતુ, કોઇ લોન નહી કરાવી આપતા તેમની પાસે મે રૂપિયા પરત માગતા તેમણે માત્ર 2.50 લાખ પરત આપ્યાં હતા. જ્યારે બાકીના 22.50 લાખ લેવા માટે વારંવાર ફોન કરવા છતાં માતા પુત્રે ઉપાડતા ન હતા. જેથી ડીસીબી પોલીસે કંપની સંચાલકની ફરિયાદના આધારે નયના મહિડા તથા આકાશ મહિડા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે 'વોકલ ફોર લોકલ' અને 'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી' થીમ આધારિત ત્રિ-દિવસીય 'સશક્ત નારી મેળા'નો પ્રારંભ થયો છે. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલે રીબીન કાપીને તેનું ઉદ્ઘાટન કર્યું હતું. આ મેળો મહિલા સશક્તિકરણ, રોજગાર સર્જન અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ મંચ બની રહ્યો છે. આ પ્રસંગે વિજય પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની જનકલ્યાણકારી યોજનાઓથી મહિલાઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. મહિલાઓ આજે આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહી છે અને સમાજમાં માન-સન્માન પ્રાપ્ત કરી રહી છે. તેમણે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બહેનોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતી કામગીરીની પ્રશંસા કરી હતી. પટેલે સખી મંડળોની બહેનોને પ્રાકૃતિક પેદાશોનું બ્રાન્ડિંગ કરવા, મધ સહિતના ઉત્પાદનોમાં ગુણવત્તા જાળવવા તેમજ સમય સાથે ટેકનોલોજી અને બજારની માંગ મુજબ અપડેટ રહેવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ટીમભાવનાથી કાર્ય કરવા અને સંગઠિત બનીને આગળ વધવા અપીલ કરી હતી. ડાંગ જિલ્લામાં મહિલાઓ સંચાલિત દૂધ મંડળીઓના ઉદાહરણ દ્વારા તેમણે મહિલાઓ પશુપાલનથી આર્થિક રીતે પગભર બનતી હોવાનું જણાવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઇએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા આયોજિત સશક્ત નારી મેળાઓ મહિલાઓના યોગદાનને પ્રદર્શિત કરવા અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે અત્યંત જરૂરી છે. જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. વસાવાએ સ્વ સહાય જૂથોની ભૂમિકા પર ભાર મૂકી મહિલાઓની ઓળખ અને આર્થિક સશક્તિકરણમાં તેની મહત્વતા સમજાવી હતી. મિશન મંગલમ યોજના અંતર્ગત ડાંગ જિલ્લામાં 4282 સ્વ સહાય જૂથોની રચના થઈ છે, જેમાંથી હજારો જૂથોને રીવોલ્વીંગ ફંડ અને CIF ફંડ રૂપે કરોડો રૂપિયાની સહાય આપવામાં આવી છે. મેળામાં 60 જેટલા સખી મંડળો દ્વારા તૈયાર કરાયેલા હસ્તકલા, ખાદ્ય ચીજવસ્તુઓ, પ્રાકૃતિક ખેતી આધારિત ઉત્પાદનો અને પરંપરાગત આભૂષણોના સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તા. 21 થી 23 ડિસેમ્બર સુધી ચાલનારો આ મેળો નારી શક્તિ, સ્વદેશી વિચારધારા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરતો મહત્વપૂર્ણ મંચ બની રહ્યો છે.
બોટાદમાં 'તમારી મૂડી, તમારો અધિકાર' શિબિર યોજાઈ:દાવો ન કરાયેલ થાપણો પરત મેળવવા જિલ્લા કક્ષાની પહેલ
બોટાદમાં 'તમારી મૂડી, તમારો અધિકાર' ટેગલાઇન સાથે જિલ્લા કક્ષાની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય નાણાકીય સંસ્થાઓમાં દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ પરત મેળવવામાં નાગરિકોને મદદ કરવાનો હતો. આ રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ 1 ઓક્ટોબર 2025થી 31 ડિસેમ્બર 2025 દરમિયાન ચલાવવામાં આવી રહી છે. તેનો પ્રારંભ 4 ઓક્ટોબર 2025ના રોજ ગાંધીનગર ખાતે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમન દ્વારા કરવામાં આવ્યો હતો. ઝુંબેશને જિલ્લા સ્તરે આગળ ધપાવવા માટે બેંક ઓફ બરોડા, જે અગ્રણી જિલ્લા બેંક છે, દ્વારા બોટાદ ખાતે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. નગરપાલિકા ટાઉન હોલ, સ્ટેશન રોડ, બોટાદ ખાતે યોજાયેલી આ શિબિરમાં જિલ્લાની વિવિધ બેંકો દ્વારા દાવો ન કરાયેલ રકમ પરત મેળવવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. શિબિરનો શુભારંભ વીણા શાહ (DGM, SLBC અમદાવાદ), દેવેન્દર ડી. બોન્ડે (DGM, RBI અમદાવાદ), સુશીલ સહાને (AGM, RBI અમદાવાદ), રવિ રંજન (AGM, રીજનલ હેડ, BOB RO સુરેન્દ્રનગર), ધીરજ મેહરોત્રા (DRM, BOB RO સુરેન્દ્રનગર), નવીન કુમાર (ચીફ મેનેજર, SBI બોટાદ), આલોક કુમાર (LDM, બોટાદ), જ્ઞાનપ્રકાશ અને અખિલેશ ઝા (ચીફ મેનેજર, બેંક ઓફ બરોડા બોટાદ) દ્વારા કરવામાં આવ્યો. આ પ્રસંગે વિવિધ નાણાકીય વિભાગોના પ્રતિનિધિઓ, બેંક અધિકારીઓ, ગ્રાહકો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અતિથિઓએ આ પહેલની સરાહના કરતા જણાવ્યું કે આવી શિબિરો નાગરિકોને તેમના નાણાકીય અધિકારો પ્રત્યે જાગૃત કરે છે અને નાણાકીય સમાવેશને મજબૂત બનાવે છે. શિબિર દરમિયાન મંચસ્થ મહાનુભાવો દ્વારા ૩૫ દાવેદારોને દાવાના સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા અને વિવિધ નાણાકીય સંસ્થાઓના કુલ રૂ. ૨૦ લાખના દાવાઓ મંજૂર કરવામાં આવ્યા. અંદાજે ૨૫૦ જેટલા નાગરિકોએ આ મહામેળાવડામાં હાજરી આપી હતી. શિબિર દરમિયાન વિવિધ નાણાકીય સંસ્થાઓ તથા બેંક ઓફ બરોડા આર.સે.ટી. દ્વારા કુલ12 સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. આ સ્ટોલ પર લોકોને જૂના ખાતાઓ અંગેની માહિતી, તેમજ મૃત વ્યક્તિના વારસદારો દ્વારા દાવો કરવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમના અંતે લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર (LDM) બોટાદ, આલોક કુમારે તમામ અતિથિઓ, બેંક અધિકારીઓ, મીડિયા પ્રતિનિધિઓ અને નાગરિકોનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો.
વડોદરા જિલ્લાના પાદરામાં પુત્રી દ્વારા પ્રેમી સાથે મળી પિતાની હત્યા કરવામાં આવી હતી. આ ચકચારી મર્ડર કેસમાં પોલીસ દ્વારા બંને આરોપીને સાથે રાખીને ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આરોપી પોતાના ઘરેથી મૃતકના ઘર સુધી કેવી રીતે પહોંચ્યો તેનું રી-કન્સ્ટ્રક્શન કરાયું હતું. હત્યામાં વપરાયેલ ચપ્પુ ક્યાં સંતાડ્યું હતું, તે પણ પોલીસ સમક્ષ બતાવ્યું હતું. પાદરામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો હતોવડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં રહેતી એક વ્યક્તિની તેના જ ઘર પાસેથી બે દિવસ પહેલાં લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી, જેનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ હત્યામાં મૃતક યુવકની સગીર વયની દીકરી, તેનો પ્રેમી રણજિત વાઘેલા અને પ્રેમીનો મિત્ર ભવ્ય મહેશ વસાવા હોવાનું ખૂલ્યું છે. દીકરીએ ભોજનમાં ઊંઘની ગોળી નાખી, પ્રેમીએ મિત્ર સાથે મળી હત્યા કરીફિલ્મી સ્ટોરીને ટક્કર મારે એવા આ બનાવમાં સગીર વયની દીકરીનો પ્રેમસંબંધ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. પ્રેમસંબંધમાં આડે આવતા પિતાનો કાયમ માટે કાંટો કાઢી નાખવા માટે દીકરીએ પ્રેમી સાથે મળી હત્યાનો અંજામ આપ્યો હતો. સગીર પુત્રીએ પોતાના પિતાના ભોજનમાં ઊંઘની ગોળી નાખી દીધી હતી અને ત્યાર બાદ રાત્રિના અઢી વાગ્યાના અરસામાં પ્રેમી રણજિત વાઘેલા અને તેના મિત્ર ભવ્યએ છરીના ત્રણ ઘા મારી હત્યા નીપજાવી ફરાર થઈ ગયા હતા.દીકરીએ પોતાનાં માતા-પિતાને અગાઉ પાણીમાં અને બાદમાં ભોજનમાં ઊંઘની ગોળીઓ આપી હતી, પરંતુ ત્યારે સફળતા મળી ન હતી. અંતે બનાવના દિવસે ત્રીજીવાર ભોજનમાં ગોળીઓ ભેળવી ઊંઘમાં પિતાની હત્યા કરાવી હતી. દીકરીના પ્રેમ પ્રકરણને લઈ પિતા નારાજ હતા. તેઓ પોતાની પત્ની અને દીકરીને ઓરડીમાં બંધ કરીને બહારથી તાળું મારીને ચાવી પાસે રાખતા હતા. આ હત્યાના સમયે આ દીકરી બારીમાંથી જોતી હતી કે, આ કામ પૂર્ણ થયું છે કે કેમ. પ્લાનિંગ આખું સગીર વયની દીકરી અને તેના પ્રેમી રણજિતનું હતું અને તે હત્યા કરી પ્રેમી સાથે ભાગી જવાની હતી. બંને આરોપીઓે સાથે પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યુંપોલીસ દ્વારા આજે બંને આરોપીને સાથે રાખીને ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આરોપી પોતાના ઘરેથી મૃતકના ઘર સુધી કેવી રીતે પહોંચ્યો તેનું રી-કન્સ્ટ્રક્શન કરાયું હતું. હત્યામાં વપરાયેલ ચપ્પુ ક્યાં સંતાડ્યું હતું, તે પણ પોલીસ સમક્ષ બતાવ્યું હતું. તો સગીરાને જુવેનાઈલ કોર્ટમાં રજૂ કરીને બાળ સુધારણા હોમમાં મોકલી આપવામાં આવી છે. મુખ્ય આરોપી રણજીત તારની વાડ કૂદીને હત્યા કરવા માટે ગયો હતો અને તેનો સાગરીત વોચ રાખીને બેઠો હતો, ત્યારબાદ રણજીત હત્યા કર્યા બાદ તારની વાડ કૂદીને પરત આવ્યો હતો અને બંને ભાગી ગયા હતા.
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં ધર્મપ્રેમી જનતા માટે એક અદભૂત અને ઐતિહાસિક પળો સર્જાવા જઈ રહી છે. વિશ્વવિખ્યાત કથા વાચક રમેશભાઈ ઓઝા દ્વારા ઝાલોદની ધરા પર પ્રથમવાર શ્રીમદ ભાગવત મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ભક્તિપૂર્ણ આયોજન સ્વ. શિવાભાઈ પટેલ પરિવારના સૌજન્યથી યોજાઈ રહ્યું છે. વર્ષ 2007માં દાહોદ ખાતે યોજાયેલી કથા બાદ લગભગ બે દાયકાં પછી ફરી આ વિસ્તારમાં પૂજ્ય ભાઈશ્રીની કથા યોજાતી હોવાથી સમગ્ર પંચમહાલ–દાહોદ પટ્ટામાં ભારે ધાર્મિક ઉત્સાહ અને આનંદની લાગણી વ્યાપી ગઈ છે. 25 ડિસેમ્બરથી વણકતલાઈ રોડ પર કથાની અમૃતધારાઝાલોદના વણકતલાઈ રોડ પર 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી સતત સાત દિવસ સુધી શ્રીમદ ભાગવત કથાની અમૃતધારા વહેશે. રોજ સવારથી સાંજ સુધી ભક્તિરસમાં ડૂબેલી કથા દ્વારા જીવનના મર્મ, ધર્મ, કર્તવ્ય અને ભક્તિના ઉપદેશો આપવામાં આવશે. આ સાત દિવસ ઝાલોદ નગર સંપૂર્ણ રીતે આધ્યાત્મિક રંગે રંગાઈ જશે તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 63,000 સ્ક્વેર ફૂટમાં તૈયાર કરાયેલો અતિભવ્ય ડોમકથાના વિશાળ આયોજનને ધ્યાનમાં રાખી પ્રભુતા પાર્ટી પ્લોટ પાછળ આશરે 63,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં અતિભવ્ય અને આધુનિક ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. આ ડોમમાં એકસાથે 15,000થી 20,000 જેટલા ભક્તો આરામથી બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. વિશાળ જગ્યા, હવાવિહાર અને સુવ્યવસ્થિત બેઠક વ્યવસ્થા સાથે ભક્તોને કોઈપણ પ્રકારની અસુવિધા ન પડે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. LED સ્ક્રીન દ્વારા દરેક ભક્ત સુધી કથાનો લાભડોમમાં પાછળ બેઠેલા ભક્તો પણ કથાના દર્શન અને શ્રવણથી વંચિત ન રહે તે માટે 6થી 7 મોટી LED સ્ક્રીનો લગાવવામાં આવી છે. આ સ્ક્રીનો દ્વારા પૂજ્ય ભાઈશ્રીના પ્રવચન સ્પષ્ટ રીતે દરેક ખૂણે પહોંચે તે માટે આધુનિક સાઉન્ડ સિસ્ટમ પણ ગોઠવવામાં આવી છે. સુરક્ષા અને શિસ્ત માટે ચુસ્ત આયોજનકથા દરમિયાન શિસ્ત અને સુરક્ષા જળવાઈ રહે તે માટે સમગ્ર મંડપને CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યો છે. 300થી વધુ સ્વયંસેવકોની વિશાળ ટીમ વોકી-ટોકી સાથે દિવસ-રાત ફરજ પર રહેશે. ભક્તોના પ્રવેશ અને બહાર નીકળવા માટે 3 અલગ-અલગ ગેટ બનાવવામાં આવ્યા છે જેથી ભીડ નિયંત્રણ સરળતાથી થઈ શકે અને કોઈ અવ્યવસ્થા ન સર્જાય. પાણી, શૌચાલય અને આરામની સંપૂર્ણ વ્યવસ્થાઆયોજન સમિતિ દ્વારા ભક્તોની મૂળભૂત સુવિધાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. પીવાના શુદ્ધ પાણી, પૂરતા પ્રમાણમાં શૌચાલય, સફાઈ વ્યવસ્થા તથા તબીબી સહાય માટે પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. બહારગામથી આવનાર શ્રદ્ધાળુઓ માટે રહેવાની અને આરામ કરવાની સગવડ પણ ઊભી કરવામાં આવી છે. દરરોજ મહાપ્રસાદ અને ભંડારાની સેવાશ્રીમદ ભાગવત કથા દરમિયાન દરરોજ તમામ ભક્તો માટે મહાપ્રસાદ અને ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે. દરરોજ 15,000થી વધુ ભક્તો માટે મહાપ્રસાદ તૈયાર કરવામાં આવશે. સાતેય દિવસ ભંડારાનું આયોજન રહેશે, જે સેવા અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ બનશે. પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થાનું સુવ્યવસ્થિત આયોજનભક્તોની સુવિધા માટે પાર્કિંગની વિશાળ વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ ગ્રાઉન્ડ, હનુમાનજી મંદિરની બાજુ, પોલીસ લાઈન તથા APMC માર્કેટ યાર્ડ, આ ચાર સ્થળો પાર્કિંગ માટે નિર્ધારિત કરાયા છે. ઝાલોદ પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક વ્યવસ્થાપન માટે ખાસ પોઇન્ટ અને માર્ગદર્શન પણ ગોઠવવામાં આવશે. પોથી યાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ભવ્ય શ્રેણી25 ડિસેમ્બરે મુવાડા રામજી મંદિરથી ભવ્ય પોથી યાત્રા સાથે કથાનો આરંભ થશે. 26 ડિસેમ્બરે મહિલા શક્તિ મંડળ દ્વારા આનંદનો ગરબો યોજાશે. 28 ડિસેમ્બરે લોકપ્રિય લોકગાયક કિર્તીદાન ગઢવીનો ભવ્ય લોક ડાયરો યોજાશે. 31 ડિસેમ્બરે કથાની પૂર્ણાહુતિ સાથે આ મહાયજ્ઞનો સમાપન થશે. દરરોજ સાંજે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આયોજક અંકુર પટેલનું માર્ગદર્શનઆ આયોજન અંગે અંકુર પટેલે જણાવ્યું હતું કે, સાત દિવસ ચાલનારી આ કથામાં ભક્તોની દરેક સુવિધાનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. વિશાળ ડોમ, LED સ્ક્રીન, રહેવા-જમવાની સગવડ, ભંડારા અને સ્વયંસેવકોની સેવાનુ આયોજન કરવામાં આવ્યું છે જેથી દરેક ભક્ત નિર્ભય અને નિશ્ચિંત બની કથાનો લાભ લઈ શકે. નિ:શુલ્ક જમીન આપનાર ગનીભાઈ ભુંગાનું માનવતાભર્યું ઉદાહરણકથા સ્થળ માટે નિ:શુલ્ક જમીન આપનાર મુસ્લિમ સમાજના ગનીભાઈ ભુંગાએ જણાવ્યું હતું કે, શ્રીમદ ભાગવત કથા માટે તેમની જમીન ઉપયોગમાં લેવાય તે તેમના માટે ગૌરવની વાત છે. ભક્તોના પગલાંથી જમીન પવિત્ર બનશે અને જીવન ધન્ય થશે, એ જ તેમની સૌથી મોટી સંપત્તિ હોવાનું તેમણે જણાવ્યું હતું. વેપારી આગેવાન અનિલ પંચાલની લાગણીઝાલોદના વેપારી આગેવાન અનિલ પંચાલે જણાવ્યું હતું કે, લગભગ 20 વર્ષ પછી ફરી એકવાર આ વિસ્તારને પૂજ્ય રમેશભાઈ ઓઝાની કથાનો લાભ મળી રહ્યો છે. ઝાલોદ સહિત આસપાસના ગામો તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. બાળ ભક્ત શ્રેયાંશ ભગોરાનો પ્રેરણાદાયી સંકલ્પકથા સ્થળે ઉપસ્થિત બાળ ભક્ત શ્રેયાંશ ભગોરાએ જણાવ્યું હતું કે, તેઓ દરરોજ પિતાજી સાથે કથા સાંભળવા આવશે અને કથાના ઉપદેશોને પોતાના જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરશે. ઝાલોદ માટે ગૌરવરૂપ ધાર્મિક મહોત્સવઝાલોદમાં યોજાનાર શ્રીમદ ભાગવત કથા માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ સમરસતા, સેવા, સહઅસ્તિત્વ અને ભક્તિનો મહોત્સવ છે. સમગ્ર ઝાલોદ નગર અને આસપાસના વિસ્તારો માટે આ કથા એક યાદગાર આધ્યાત્મિક પ્રસંગ બની રહેશે તેવી ભાવના વ્યાપક રીતે વ્યક્ત થઈ રહી છે. શ્રીમદ ભાગવત કથા કાર્યક્રમની રૂપરેખા25 ડિસેમ્બરમુવાડા રામજી મંદિરથી ભવ્ય પોથી યાત્રા – શ્રીમદ ભાગવત કથાનો આરંભ 26 ડિસેમ્બરમહિલા શક્તિ મંડળ દ્વારા આનંદનો ગરબો 27 ડિસેમ્બરશ્રીમદ ભાગવત કથા – નિયમિત કથા શ્રવણ 28 ડિસેમ્બરપ્રખ્યાત લોકગાયક કિર્તીદાન ગઢવીનો ભવ્ય લોક ડાયરો 29 ડિસેમ્બરશ્રીમદ ભાગવત કથા – નિયમિત કથા શ્રવણ 30 ડિસેમ્બરશ્રીમદ ભાગવત કથા – નિયમિત કથા શ્રવણ 31 ડિસેમ્બરશ્રીમદ ભાગવત કથાની ભવ્ય પૂર્ણાહુતિ
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે 15 નવેમ્બર 2025ના દિવસે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલા જનજાતિ ગૌરવ રાષ્ટ્રીય કાર્યક્રમના ખર્ચના આંકડાઓએ ભારે વિવાદ જગાવ્યો છે. ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ માહિતી અધિકાર-RTI હેઠળ મેળવેલી વિગતોમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે જનતાના પરસેવાની કમાણીના કરોડો રૂપિયા માત્ર મંડપ, ભોજન અને વીજળી જેવા કામચલાઉ આયોજનોમાં વાપરી નાખવામાં આવ્યા છે. ચૈતર વસાવાએ જાહેર કરેલા ખર્ચના આંકડાચૈતર વસાવાએ જાહેર કરેલા આંકડા મુજબ, એક દિવસના કાર્યક્રમ માટે સરકારી તિજોરીમાંથી જે ખર્ચ કરવામાં આવ્યો છે તે કંઈક આ મુજબ છે: બાળકો માટે ગ્રાન્ટ નથી અને સરકારી તાઈફા માટે કરોડો?ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, એક તરફ આદિવાસી બાળકોને હોસ્ટેલમાં રહેવા-જમવા માટે મહિનાના માત્ર 2100 રૂપિયા ફાળવવામાં આવે છે, જ્યારે બીજી તરફ કાર્યક્રમમાં આવેલા અધિકારીઓના એક ટાઈમના ભોજન પાછળ 3000 રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું, જ્યારે અમે સિકલ સેલના દર્દીઓની સહાય અથવા બાળકોની શિષ્યવૃત્તિ વિશે પૂછીએ છીએ, ત્યારે અધિકારીઓ 'ગ્રાન્ટ નથી' તેવું બહાનું કાઢે છે. છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ છે. જિલ્લામાં 12,333 બાળકો કુપોષણથી પીડાય છે, પણ તેમને પૌષ્ટિક આહાર આપવાને બદલે આદિજાતિ વિકાસની ગ્રાન્ટ આ રીતે ઉત્સવોમાં વેડફાઈ રહી છે. આંગણવાડી અને શિક્ષણની દુર્દશાના આક્ષેપચૈતર વસાવાએ આક્ષેપ કર્યો છે કે આંગણવાડીના બિલો મંજૂર નથી થતા અને શાળાઓમાં નવા ઓરડા બનાવવાની જરૂર છે, તેમ છતાં સરકાર પોતાની પબ્લિસિટી માટે 'યુનિટી માર્ચ' જેવા કાર્યક્રમોમાં લાખો-કરોડો રૂપિયા વાપરે છે. તેમણે જનતાને જાગૃત થવા અપીલ કરતા કહ્યું કે આ પૈસા કોઈ રાજકીય પક્ષના નથી, પણ આદિવાસીઓના વિકાસ માટે ફાળવાયેલી ગ્રાન્ટના છે.
સુરત શહેરના વેસુ-અલથાણ વિસ્તારમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના કાર્યકરો દ્વારા કાયદો અને વ્યવસ્થાને નેવે મૂકીને કાર રેલી કાઢવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. શિસ્તની વાતો કરતી વિદ્યાર્થી પાંખના કાર્યકરો જાહેર રોડ પર જોખમી સ્ટન્ટ્સ કરતા નજરે પડતા ચકચાર મચી ગઈ છે. વીડિયો વાયરલ થતા ભયજનક ડ્રાઇવિંગનો ગુનો દાખલ કરી ફોર્ચ્યુનર સહિત બે કાર કબ્જે કરવામાં આવી છે. શું હતી સમગ્ર ઘટના?સુરતની ડી.આર.બી. કોલેજ ખાતે ABVP દક્ષિણ ગુજરાત એકમની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક પૂર્ણ થયા બાદ મોટી સંખ્યામાં કાર્યકરો કાર રેલી સ્વરૂપે રવાના થયા હતા. જોકે, આ ઉત્સાહમાં કાર્યકરોએ ટ્રાફિકના નિયમો અને પોતાની સુરક્ષાને પણ વિસરી ગયા હતા. રેલી દરમિયાન જોખમી રીતે કારમાં સવાર થયાસોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેટલાક વિદ્યાર્થી કાર્યકરો ચાલુ ગાડીએ દરવાજા બહાર લટકીને અને બોનેટ પર બેસીને જોખમી રીતે સ્ટન્ટ્સ કરી રહ્યા હતા. રેલીમાં સામેલ કેટલીક લક્ઝુરિયસ ગાડીઓ પર પ્રતિબંધિત 'બ્લેક ફિલ્મ' (કાળા કાચ) લગાવેલી જોવા મળી હતી. જાહેર માર્ગ પર અન્ય વાહનચાલકો માટે મુશ્કેલી ઊભી થાય તે રીતે બેફામ ગાડીઓ હંકારવામાં આવી હતી. પોલીસની પરવાનગી વિના નીકળી હતી રેલીઆ વીડિયો વાયરલ થતા જ સુરત પોલીસ હરકતમાં આવી છે. અલથાણ પોલીસે વીડિયોના ફૂટેજ અને ગાડીઓના નંબરના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ કાર રેલી કાઢવા માટે પોલીસ તંત્ર પાસેથી કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હતી. એબીવીપીની યોજાયેલી કારોબારીની બેઠક બાદ કાર્યકરોએ 15થી વધુ સંખ્યામાં કારનો કાફલો લઈને રસ્તા પર ઉતર્યા હતા. સીટીલાઇટ વિસ્તારમાં આવેલી કોલેજથી અણુવ્રત દ્રાર સુધી નીકળેલી આ રેલી દરમિયાન મોટા અવાજે હોર્ન, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા કારણે પસાર થતાં અન્ય વાહન ચાલકો અટવાઇ ગયા હતા, દૈનિક કામકાજે નીકળેલા લોકો શાળા અને ઈમરન્સી વાહનોની સેવાને પણ અવરોધ થયો હતો. રેલીના આયોજન પુર્વે પોલીસની મંજુરી લેવામાં આવી ન હતી. છતાં રસ્તા પર શકિત પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. જેમાં માર્ગ સલામતીના નિયમોનો ભંગ થયો હોવાનું જણાયુ હતુ. પોલીસે વીડિયોના આધારે બે કાર કબજે લીધીડી ડી ચૌહાણ (પીઆઇ) એ જણાવ્યું હતું કે, ગત તારીખ 19 ડિસેમ્બરના રોજ અલથાણ વિસ્તારમાં આવેલ DRB કોલેજ ખાતે ABVP જે સંગઠન છે તેમની કાર્યકારણીની બેઠક હતી. એ દરમિયાન જે તેમની વરણી થયેલ ઉમેદવારો હતા, એ લોકો આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગાડી સાથે એમણે એક સરઘસ કાઢેલું. એ સરઘસની અંદર એક વીડિયો વાયરલ થયેલો. એ વાયરલ વીડિયોને જોતા તેની અંદર અમુક કાળા કાચવાળી ગાડીઓ તથા અમુક ગાડીઓમાંથી જે છે ભયજનક રીતે ડ્રાઇવિંગ કરતા હોય એવું વીડિયોની અંદર સ્પષ્ટ જણાઈ આવી હતી. આજરોજ જે ગાડીઓ સરઘસમાં હતી એ પૈકીની બે ગાડીઓને પોલીસે જમા લઈ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. જે રીતે વીડિયોની અંદર જોઈ શકાય છે કે ચાલક ગાડી ચલાવતા હતા એ દરમિયાન ફ્રન્ટ સાઈડની જે વિન્ડો છે એની અંદરથી પણ અમુક દેખાતા ઈસમો બહાર નીકળેલા હોય, ચાલકે આ દરમિયાન ગાડી ચલાવવી જોઈતી નહોતી પરંતુ છતાં પણ એ ગાડી ચલાવતા રહે છે એટલે એમના વિરુદ્ધ ભયજનક ડ્રાઇવિંગનો ગુનો દાખલ કરેલ છે.
ડાભેલમાં યુવાન પર હુમલો, સારવાર દરમિયાન મોત:પોલીસે હત્યાની કલમ ઉમેરી, મુખ્ય આરોપીને ઝડપ્યો
નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના ડાભેલ ગામમાં એક યુવાન પર હુમલો થયો હતો. સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. મૃતકનું નામ દીપક રાઠોડ છે. આ ઘટના બાદ પોલીસે અગાઉ બે સગીર સહિત એક આરોપી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી. આ કેસમાં આદિવાસી સંગઠનો અને વલસાડના સાંસદ ધવલ પટેલ મૃતકના ગામની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારબાદ પોલીસે તાત્કાલિક એટ્રોસિટીની કલમ ઉપરાંત હત્યા (કલમ 302)નો પણ ઉમેરો કર્યો હતો. પોલીસે મુખ્ય આરોપી હસન મહંમદ એકલવાયાની ધરપકડ કરી છે. ઉપરાંત, તેના સગીર પુત્રની પણ ધરપકડ કરીને રિમાન્ડ હોમમાં મોકલવામાં આવ્યો છે.
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વિશ્વ ધ્યાન દિવસની ઉત્સાહપૂર્ણ ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ યોગ અને ધ્યાનની પ્રાચીન ભારતીય પરંપરાને સ્વસ્થ, સંતુલિત અને સંવેદનશીલ સમાજ રચવા માટે જનઆંદોલન બનાવવાની અપીલ કરી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ અને ટ્રેનર્સના પ્રથમ દીક્ષાંત સમારોહના અધ્યક્ષસ્થાનેથી તેમણે જણાવ્યું કે, મનની શાંતિ અને સ્વસ્થ જીવનશૈલી સાથે જ રાષ્ટ્ર નિર્માણનું સપનું સાકાર થઈ શકે. 'ધ્યાન એકાગ્રતા અને મજબૂત નિર્ણયશક્તિ વિકસાવે છે'મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રજૂ કરાયેલ ‘વિકસિત ભારત@2047’ના લક્ષ્યને સિદ્ધ કરવા માટે યોગ અને ધ્યાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે ઉમેર્યું કે યોગ શારીરિક તાકાત વધારશે, જ્યારે ધ્યાન મનની એકાગ્રતા અને મજબૂત નિર્ણયશક્તિ વિકસાવે છે. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ અને ટ્રેનર્સને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા. મુખ્યમંત્રીએ ધ્યાનને ભારતની પ્રાચીન સંસ્કૃતિનું અમૂલ્ય વરદાન ગણાવ્યું અને આજના તણાવભર્યા જીવનમાં માનસિક શાંતિ માટે તેની પ્રાસંગિકતા પર ભાર મૂક્યો. 'યોગ ભારતના આધ્યાત્મિક વારસાનું ગૌરવ છે'તેમણે યાદ અપાવ્યું કે યોગને વૈશ્વિક ઓળખ અપાવવાના પરિણામે આજે 21 જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાય છે, જે ભારતના આધ્યાત્મિક વારસાનું ગૌરવ છે. યોગથી સ્વસ્થ જીવન અને આયુષ્માન ભારત જેવી યોજનાઓ દ્વારા આરોગ્ય સુરક્ષા બંને એકબીજાના પૂરક હોવાનું પણ તેમણે જણાવ્યું. કાર્યક્રમમાં હિમાલયન સમર્પણ મેડિટેશનના શિવકૃપાનંદ સ્વામીના સાનિધ્યમાં સામૂહિક ધ્યાન સત્ર યોજાયું, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો. યોગ બોર્ડના અધ્યક્ષ શિશપાલ રાજપુતે યોગ દ્વારા સ્વસ્થ રાજ્યથી સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણમાં ટ્રેનર્સની ભૂમિકાને રેખાંકિત કરી. આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરાંબેન પટેલ, ધારાસભ્ય રીટાબહેન પટેલ સહિત અનેક આગેવાનો, યોગ ટ્રેનર્સ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા.
બીલીમોરાના ઓવરબ્રિજ પર દારૂ અને ગાંજાનું પ્રમોશન કરતી રીલ્સ બનાવવી એક યુવતી અને તેના સાથીદારને ભારે પડી છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના ગત 20 ડિસેમ્બરના રોજ બની હતી, જ્યાં યુવતીએ જાહેર માર્ગ પર અડચણ ઊભી કરીને વીડિયો બનાવ્યો હતો. ઇન્સ્ટાગ્રામ આઈડી jaanu_2609_ પર અપલોડ કરાયેલા આ વીડિયોમાં યુવતી પ્લાસ્ટિકના ગ્લાસમાં જીરા સોડા ભરીને તેને દારૂ તરીકે રજૂ કરતી જોવા મળી હતી. આ ઉપરાંત, તે લીલા સૂકા પાંદડાને ગાંજાની જેમ કાપવાની ખોટી એક્ટિંગ પણ કરી રહી હતી. વીડિયોના બેકગ્રાઉન્ડમાં 'ગાંજા' સંબંધિત ગીત મૂકીને જાહેર જનતામાં નકારાત્મક સંદેશ ફેલાવવામાં આવ્યો હતો. આ વાયરલ વીડિયો બીલીમોરા પોલીસના ધ્યાને આવતા જ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. અગાઉ પણ આવા જ એક કિસ્સામાં પોલીસે બે યુવાનો સામે પગલાં લીધા હતા. તેમ છતાં ફરીથી આવી ઘટના સામે આવતા પોલીસે આ મામલે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે આ મામલે બીલીમોરાના આંતલીયાની 19 વર્ષીય જાનવી દશરથભાઇ કુકણા પટેલ અને તેના ફોઈના છોકરા હર્ષલ વિજયભાઇ કુરકુટીયા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. તેમની સામે વગર લાયસન્સે વાહન ચલાવવું, જાહેર માર્ગ પર અડચણ ઊભી કરવી અને નશાકારક પદાર્થોનું પ્રમોશન કરતી ખોટી એક્ટિંગ કરવા બદલ કલમો હેઠળ કાર્યવાહી કરાઈ છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે, સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવા માટે કાયદો હાથમાં લેનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કોલકાતા નજીક ટીટાગઢ રેલ સિસ્ટમ્સના આધુનિક પ્લાન્ટની મુલાકાત લઈને અમદાવાદ મેટ્રો માટેની પ્રથમ સ્વદેશી ‘મેક ઇન ઇન્ડિયા’ મેટ્રો ટ્રેનનું લોન્ચિંગ કર્યું હતું. આ ટ્રેન ગુજરાતની સાંસ્કૃતિક ભાવનાને પ્રતિબિંબિત કરતી અત્યાધુનિક અને આત્મનિર્ભર ભારતનું પ્રતીક છે. અમદાવાદની સંસ્કૃતિ અને પરંપરાને દેખાડતી આ ઓટોમેટેડ અને ડ્રાઇવરલેસ ટ્રેન ટૂંક સમયમાં જ અમદાવાદમાં દોડતી નજરે પડશે. CM ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદ શહેરને તેની પ્રથમ સ્વદેશી રૂપે નિર્મિત ‘મેક ઇન ઇન્ડિયા’ મેટ્રો ટ્રેનની ભેટ આપી છે. વૈશ્વિક સ્તરે લાગુ પડતા વર્તમાન આંતરરાષ્ટ્રીય માપદંડોને અનુરૂપ આ મેટ્રો ટ્રેન તૈયાર કરવામાં આવી છે, જે ગુજરાત માટે ગૌરવસમાન છે. અમદાવાદ માટે પહેલી ‘મેક ઇન ઇન્ડિયા’ ટ્રેનટીટાગઢ રેલ સિસ્ટમ્સ લિમિટેડના ફેસિલિટી પ્લાન્ટમાં આ ટ્રેન ‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત સ્વદેશી રૂપે તૈયાર કરવામાં આવી રહી છે. આ પ્લાન્ટમાં દેશના અનેક રાજ્યના લોકો આધુનિક મેટ્રો તેમજ યાત્રી કોચના ઉત્પાદન માટે કાર્યરત છે. આ મેટ્રો PMના ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ મંત્રને ચરિતાર્થ કરે છે. મુખ્યમંત્રીએ આના માટે અભિનંદન પણ વ્યક્ત કર્યું હતું. અમદાવાદ મેટ્રો દરરોજના 1.6 લાખથી વધુ મુસાફરોને સેવા આપે તેમણે કહ્યું કે,અમદાવાદ મેટ્રો હાલમાં દરરોજના 1.6 લાખથી વધુ મુસાફરોને સેવા આપે છે અને તેમાં વાર્ષિક 30-40 ટકાનો વધારો થઈ રહ્યો છે. આવનારા દિવસોમાં મેટ્રો રેલ સેવાનો આ વિસ્તાર વધારવામાં આવશે અને સુરતમાં પણ મેટ્રો કાર્યરત થવાની છે. અમદાવાદને મળી રહેલી આ મેટ્રો ટ્રેન શહેરમાં મેટ્રો રેલ વ્યવસ્થાની વધતી જતી માંગ તેમજ લોકપ્રિયતાને પૂરી કરવાની સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમને વધુ સુગમ બનાવશે. CMએ વધુમાં કહ્યું કે, 2014માં મેટ્રો નેટવર્ક 248 કિલોમીટર હતું, જે 2025માં વધીને 1013 કિલોમીટર થયું છે. છેલ્લા વર્ષોમાં દેશમાં રેકોર્ડ બ્રેક ગતિએ રસ્તાનું નિર્માણ થયું છે, એરપોર્ટની સંખ્યા બમણી થઈ છે અને મેક ઇન ઇન્ડિયા સેમી હાઇસ્પીડ વંદે ભારત ટ્રેનથી રેપિડ ટ્રાન્ઝિટને નવી દિશા મળી છે. મેટ્રો ટ્રેન ફાઈનલ ટેસ્ટિંગ અને સર્ટિફિકેટ બાદ અમદાવાદ આવશેગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC)એ કોલકાતા સ્થિત ટીટાગઢ રેલ સિસ્ટમ્સ લિમિટેડને 10 ટ્રેનોનો ઓર્ડર આપ્યો છે. આ ટ્રેનો ફેઝ-2ના 21 કિલોમીટરના કાર્ય પૂર્ણ થવા પર ઊભી થનારી વધારાની ટ્રેનોની જરૂરિયાતને પૂરી કરશે. પહેલી મેટ્રો ટ્રેન અંતિમ પરીક્ષણો તેમજ સંબંધિત પ્રાધિકારીઓ પાસેથી પ્રમાણપત્ર મળ્યા બાદ ટૂંક સમયમાં અમદાવાદ પહોંચાડવામાં આવશે અને બાકીની 9 ટ્રેનો ટીટાગઢ પ્લાન્ટ દ્વારા આગામી 5-6 મહિનામાં પૂરી પાડવામાં આવશે. CM ભૂપેન્દ્ર પટેલે કોચનું નિરીક્ષણ કરીને તેમજ પ્લાન્ટના એન્જિનિયરો સાથે ચર્ચા કરતાં અમદાવાદ મેટ્રો ટ્રેનના કોચની વિશેષતાઓની માહિતી મેળવી હતી. ઓટોમેટેડ અને ડ્રાઇવરલેસ ટ્રેન તરીકે કાર્ય કરવામાં સક્ષમ ટીટાગઢ પ્લાન્ટના એન્જિનિયરોએ જણાવ્યું કે, આ મેટ્રો ટ્રેન શ્રેષ્ઠ કક્ષાની ફાયર સેફ્ટી સહિત અન્ય સુરક્ષા સુવિધાઓ તેમજ ગ્રેડ ઓફ ઓટોમેશન 4 (GoA4) અંતર્ગત પૂર્ણતઃ ઓટોમેટેડ અને ડ્રાઇવરલેસ ટ્રેન તરીકે કાર્ય કરવામાં સક્ષમ છે. ઉચ્ચ ગુણવત્તાવાળા સ્ટેનલેસ સ્ટીલથી બનેલી આ મેક ઇન ઇન્ડિયા ટ્રેનોમાં રંગો તેમજ ડિઝાઇનનો જે વિશેષ સ્પર્શ આપવામાં આવ્યો છે, તે અમદાવાદની સંસ્કૃતિ અને પરંપરાને પ્રતિબિંબિત કરે છે. અનેક અધિકારીઓએ હાજરી આપી હતીઆ પ્રસંગે મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, મુખ્યમંત્રીના સલાહકાર તેમજ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડના પ્રબંધ નિદેશક એસ.એસ. રાઠોડ, ટીટાગઢ રેલ સિસ્ટમ્સના પ્રબંધ નિદેશક ઉમેશ ચૌધરી, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન તેમજ ટીટાગઢ રેલ્વે સિસ્ટમ્સના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અનેક શહેરો માટે મેટ્રો ટ્રેનોના ઉત્પાદન સાથે જોડાયેલો છે ટીટાગઢ પ્લાન્ટટીટાગઢ રેલ્વે સિસ્ટમ્સ પ્લાન્ટ નેક્સ્ટ જનરેશન વંદે ભારત સ્લીપર ટ્રેનો તેમજ પુણે, બેંગલુરુ, મુંબઈ, સુરત અને અમદાવાદ જેવા અનેક શહેરો માટે મેટ્રો ટ્રેનોના ઉત્પાદન સાથે જોડાયેલો છે. આ પ્લાન્ટમાં ભારતના મહત્વાકાંક્ષી હાઇસ્પીડ કાર્યક્રમ માટે ભવિષ્યમાં ઉચ્ચ ગતિની ટ્રેનો બનાવવાની ક્ષમતા વિકસાવવા માટે પણ સુવિધાઓના વિકાસ કાર્યની શરૂઆત કરવામાં આવી છે. ફક્ત એટલું જ નહીં કંપની ભારતની સૌથી મોટી વેગન ઉત્પાદક કંપની છે અને નૌસેના તેમજ અન્ય વિશેષ ઉપયોગો માટે જહાજોનું ઉત્પાદન પણ કરે છે.
સાળંગપુરમાં ત્રિદિવસીય સશક્ત નારી મેળાનું સમાપન:60થી વધુ મહિલાઓને સરકારી યોજનાઓનો લાભ મળ્યો
બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે યોજાયેલા ત્રિદિવસીય 'સશક્ત નારી મેળા'નું સમાપન થયું છે. આ મેળામાં અંદાજે ૬૦થી વધુ મહિલા લાભાર્થીઓએ વિવિધ સરકારી યોજનાઓ, તાલીમ અને રોજગારલક્ષી તકોનો લાભ લીધો હતો. રાજ્ય સરકારની પહેલ અંતર્ગત બોટાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા બરવાળા તાલુકાના પ્રસિદ્ધ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર, સાળંગપુર ખાતે ૧૯થી ૨૧ ડિસેમ્બર દરમિયાન આ જિલ્લા સ્તરીય મેળાનું આયોજન કરાયું હતું. મેળાનો મુખ્ય હેતુ ગ્રામીણ મહિલાઓ, સ્વ-સહાય જૂથો અને મહિલા ઉદ્યોગ સાહસિકોને સશક્ત બનાવવાનો હતો. આ મેળામાં ૫૦થી વધુ સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. મેળાના પ્રારંભ પ્રસંગે બોટાદ જિલ્લાનાં પ્રભારી મંત્રી રિવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સરકારી વિભાગો દ્વારા યોજનાકીય માહિતી અને ઉત્પાદનોનું પ્રદર્શન કરાયું હતું, જેમાં લાઈવ મગફળી તેલ સ્ટોલ અને બેંકિંગ-આરસેટી યોજનાઓ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
હિંમતનગરમાં નારી સશક્ત મેળાનો પ્રારંભ:પ્રથમ દિવસે 1500 મુલાકાતીઓ, ₹2.23 લાખની આવક નોંધાઈ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્રિદિવસીય સશક્ત નારી મેળાનો પ્રારંભ થયો છે. સહકારી જીન રોડ પર અંકિતા ડેરી સામેના મેદાનમાં આયોજિત આ મેળાના પ્રથમ દિવસે 1500થી વધુ લોકોએ મુલાકાત લીધી હતી, જેમાં ₹2.23 લાખની આવક નોંધાઈ છે. આ મેળામાં જિલ્લાના 50 સખી મંડળો દ્વારા વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ગ્રામ વિકાસ વિભાગ દ્વારા પણ 4 સ્ટોલ કાર્યરત છે, આમ કુલ 54 સ્ટોલ છે. આ સ્ટોલ્સમાં પ્રાકૃતિક ખેતીના શાકભાજી, હસ્તકલા અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલી ચીજવસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે. રાધે સખી મંડળના સ્ટોલ નંબર 3ના સંચાલક દિયા સુરાણીએ જણાવ્યું કે, તેઓ વેસ્ટમાંથી બેસ્ટ ચીજવસ્તુઓનું વેચાણ કરે છે અને પ્રથમ દિવસે ₹7,000ની આવક થઈ હતી. તેવી જ રીતે, ધી દિવ્યા મહિલા હસ્તકલા મંડળી લિ.ના સ્ટોલ નંબર 22ના ફાલ્ગુની વ્યાસે માહિતી આપી કે, તેમના સ્ટોલ પર પ્રથમ દિવસે ₹8,000નો વેપાર થયો હતો. સાબરકાંઠા જિલ્લા લાઇવલી હુડ મેનેજર મિન્નતબેન મનસુરી, આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર સ્વીટી પટેલ અને હિંમતનગર તાલુકા લાઇવલી હુડ મેનેજર શ્રદ્ધા પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ત્રણ દિવસીય નારી સશક્ત મેળાના પ્રથમ દિવસે સખી મંડળોના 50 સ્ટોલને સારો પ્રતિસાદ મળ્યો છે. કુલ ₹2,23,060ની આવક સાથે 1500થી વધુ લોકોએ મેળાની મુલાકાત લીધી હતી.
આગામી સમયમાં અમદાવાદ ખાતે યોજાનારી પ્રતિષ્ઠિત કોમનવેલ્થ ગેમ્સની પૂર્વ ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે આજે 21 ડિસેમ્બરે એક અનોખા સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમ 'જલસા સ્ટ્રીટ'નું આયોજન કરવામાં આવ્યું છે.શહેરના નાગરિકોમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ આવે તેવા હેતુથી ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ભવ્ય 'જલસા સ્ટ્રીટ'નું આયોજન સ્વર્ણિમ પાર્ક, ઘ-4 પાસે બપોરે થી શરૂ થઈ રાત્રે 11 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આજે બે વિપરીત ઘટનાઓ ચર્ચાનું કેન્દ્ર બની છે. એકબાજુ મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકો માટે સ્વાસ્થ્ય અને આનંદના સમન્વય સમાન ‘જલસા સ્ટ્રીટ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, તો બીજીબાજુ સેક્ટર-24ના ચકચારી દુષ્કર્મ કેસના આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે તેના પર ફાયરિંગ કરી તેને વીંધી નાખ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ કેળવવાના ઉમદા હેતુ સાથે આજે 21મી ડિસેમ્બર, રવિવારના રોજ સ્વર્ણિમ પાર્ક, ઘ-4 પાસે ‘જલસા સ્ટ્રીટ’નું આયોજન કરાયું છે. બપોરે 4 વાગ્યાથી શરૂ થયેલો આ કાર્યક્રમ રાત્રે 11 વાગ્યા સુધી અવિરત ચાલશે. આ કાર્યક્રમમાં 35થી વધુ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં આધુનિક ફિટનેસ ટ્રેનિંગથી લઈને પરંપરાગત દેશી રમતોનો સમાવેશ થાય છે.યુવાનો માટે સૂર્ય નમસ્કાર, પુશ-અપ્સ અને ઝુમ્બા સેશન આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, જ્યારે વડીલો અને બાળકો માટે લખોટી, ભમરડા, કોથળા દોડ અને લીંબુ-ચમચી જેવી રમતો દ્વારા બાળપણની યાદો તાજી કરવાનો પ્રયાસ કરાયો છે. આ કાર્યક્રમને બે ભાગમાં વિભાજિત કરાયો છે. પ્રથમ સત્રમાં બાળકો માટે ટ્રેમ્પોલીન જમ્પિંગ અને સ્કેટિંગ જેવી રમતો સાથે 'કિડ્સ એન્ડ ફન ઝોન' હશે. સાથે જ 'નોસ્ટાલ્જીયા ફિટનેસ' વિભાગમાં રસ્સા ખેંચ, સાતોલિયું અને ભમરડા જેવી દેશી રમતો રમાડવામાં આવશે. યુવાનો માટે પ્લેન્ક ચેલેન્જ અને સૂર્ય નમસ્કાર જેવી 'હાઈ એનર્જી ફિટનેસ ચેલેન્જ' પણ યોજાઈ રહી છે. જ્યારે સાંજે 7 વાગ્યાથી શરૂ થતા બીજા સત્રમાં મુખ્યત્વે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો અંતર્ગત રામરામા મંડળ દ્વારા ભક્તિ સંગીત અને ત્યારબાદ ડીજેના તાલે ગરબાની રમઝટ બોલાવવામાં આવશે. આ દરમિયાન નાગરિકો ઝુમ્બા, વિવિધ ડાન્સ પર્ફોર્મન્સ, ગરબા અને અન્ય કલ્ચરલ પર્ફોર્મન્સનો ભરપૂર આનંદ માણી શકશે, જે કોમનવેલ્થ ગેમ્સ પહેલા શહેરના ઉત્સાહમાં વધારો કરશે.ત્યારબાદ લાફ્ટર ક્લબના હાસ્યના ફુવારા બાદ ડીજેના તાલે ગરબાની રમઝટ બોલાવી નગરજનો રવિવારની રજાનો ખરા અર્થમાં ‘જલસો’ કરશે.
વિશ્વ ઉમિયાધામની પરિભ્રમણ યાત્રાએ આજે બોટાદ શહેરમાં પ્રવેશ કર્યો હતો. શહેરના પાટીદાર રેસીડેન્સી વિસ્તારમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો એકત્ર થયા હતા. અહીં આરતી ઉતારી યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં મા ઉમિયાના રથની શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ફોરવ્હીલર કાર, બાઈક અને પાટીદાર સમાજના યુવા-યુવતીઓ જોડાયા હતા. 'જય ઉમિયા'ના નાદથી બોટાદ શહેર ગુંજી ઉઠ્યું હતું. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર. પી. પટેલે જણાવ્યું હતું કે, મા ઉમિયાની આસ્થા અને મહિમાને સમગ્ર વિશ્વમાં ઉજાગર કરવા માટે માતાજીનો રથ રાજ્યના દરેક જિલ્લા અને ગામેગામ પરિભ્રમણ કરી રહ્યો છે. આ યાત્રાના ભાગરૂપે બોટાદ જિલ્લામાં પણ રથનું પરિભ્રમણ યોજાયું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વિશ્વ ઉમિયાધામનું ભવ્ય નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. અહીં વિશ્વમાં સૌથી ઊંચા મા ઉમિયા માતાજીના મંદિરનું નિર્માણ ઝડપથી આગળ વધી રહ્યું છે. બોટાદ જિલ્લામાં યોજાયેલા આ પરિભ્રમણમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમિયા માતાજીના દર્શન અને આશીર્વાદ માટે જોડાયા હતા.
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વાડોઠ ગામની 21 વર્ષીય ધ્રુવી મુકેશભાઈ ચૌધરી 'નમો ડ્રોન દીદી' યોજના હેઠળ અદ્યતન ડ્રોન મેળવીને 'ડ્રોન દીદી' તરીકે ઓળખ બનાવી છે. એગ્રીકલ્ચરલ ડિપ્લોમાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ, ધ્રુવીએ આધુનિક ખેતી અપનાવવાનો નિર્ધાર કર્યો હતો અને તે ગામના 'અંબિકા સખી મંડળ' સાથે જોડાયેલી છે. તેની ધગશને કારણે તેને 'નમો ડ્રોન દીદી' યોજનામાં જોડાવાની તક મળી. ઇફકો (IFFCO) દ્વારા પુણે ખાતે 15 દિવસની સઘન ડ્રોન સંચાલનની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ તેને સરકારનું સંપૂર્ણ માર્ગદર્શન મળ્યું. સુશાસનના ભાગરૂપે, સરકાર દ્વારા આ યોજના અંતર્ગત ધ્રુવીને 100% સબસિડી સાથે અદ્યતન ડ્રોન કીટ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી છે. આ સંપૂર્ણ કીટમાં આશરે રૂ. 12 લાખથી પણ વધુ કિંમતનું અદ્યતન ડ્રોન, બેટરીના સેટ અને ખેતર સુધીની હેરફેર માટે એક ઇલેક્ટ્રિક વાહન (ઇ-સ્કૂટર) નો સમાવેશ થાય છે. સરકારની આ પારદર્શક સહાય પદ્ધતિને કારણે એક સામાન્ય ખેડૂત પરિવારની દીકરી આજે હાઈ-ટેક કૃષિ સાધનોની માલિક બનીને આત્મનિર્ભર બની છે. ધ્રુવી ચૌધરી દ્વારા સંચાલિત આ ડ્રોન ટેકનોલોજી સ્થાનિક ખેડૂતો માટે વરદાનરૂપ સાબિત થઈ છે. જ્યાં ખેતરમાં છંટકાવ કરતા આખો દિવસ લાગતો હતો, ત્યાં હવે માત્ર 10-15 મિનિટમાં છંટકાવ પૂર્ણ કરી શકાય છે, જેનાથી શ્રમ અને સમય બંનેની બચત થાય છે. ડ્રોન દ્વારા સચોટ અને સમાન છંટકાવ થતો હોવાથી દવાનો બગાડ અટકે છે. આ ટેકનોલોજીનો સૌથી મોટો ફાયદો એ છે કે ખેડૂતોએ ઝેરી દવાઓના સીધા સંપર્કમાં આવવું પડતું નથી, જેથી સ્વાસ્થ્ય સંબંધી જોખમો ઘટે છે. વધુમાં, ઊંચાઈ પરથી છંટકાવ થવાને કારણે છોડના ખૂણેખૂણે દવા પહોંચે છે, જે પાકને રોગમુક્ત રાખવામાં અને ઉત્પાદન વધારવામાં મદદ કરે છે. ધ્રુવી ચૌધરી માત્ર એક ડ્રોન ઓપરેટર જ નહીં, પરંતુ 'નમો ડ્રોન દીદી’ યોજના દ્વારા પ્રસ્થાપિત આત્મનિર્ભરતા અને આધુનિકતાનું પ્રતીક છે. એક સામાન્ય યુવતી જ્યારે આકાશમાં ડ્રોન ઉડાડી ખેતરોમાં દવાનો છંટકાવ કરે છે, ત્યારે તે સાચા અર્થમાં 'નારી શક્તિ'ના ઉત્કર્ષના દર્શન કરાવે છે.
વડોદરાના નવલખી મેદાન ખાતે ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. આ મહોત્સવ વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનના 15 વર્ષ અને વ્રજધામ આધ્યાત્મિક સંકુલના 25 વર્ષની ઉજવણી અંતર્ગત યોજાયો છે. મહોત્સવના પ્રારંભે માંજલપુર વ્રજધામ સંકુલ ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે નવલખી મેદાન સુધી પહોંચી હતી. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થયેલા હજારો વૈષ્ણવોએ આ શોભાયાત્રામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા. બેન્ડવાજા અને ધાર્મિક ભક્તિમય વાતાવરણ વચ્ચે યાત્રા ભવ્ય બની રહી છે. આ પ્રસંગે વ્રજરાજકુમારજીની અધ્યક્ષતામાં ભવ્ય પોથી યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો વૈષ્ણવો જોડાયા. દેશ-વિદેશથી મોટી સંખ્યામાં વૈષ્ણવો આ મહોત્સવમાં હાજર રહ્યા છે. મંદિરમાં ભવ્ય મનોરથ યોજાયો હતો, જ્યાં મોટી સંખ્યામાં વૈષ્ણવોએ ઠાકોરજીના દર્શન કર્યા હતા. ભગવાનને છપ્પન ભોગની સમગ્રીઓ ધરાવવામાં આવી હતી. આ મહોત્સવ દ્વારા વૈષ્ણવ સમાજમાં આધ્યાત્મિક ઉત્સાહ અને એકતાનો સંદેશ પ્રસરી રહ્યો છે. VYO (વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન) અને વ્રજધામ આધ્યાત્મિક સંકુલ દ્વારા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારની અધ્યક્ષતામાં વૈષ્ણવ સંપ્રદાયના 550 વર્ષના ઇતિહાસનો સૌથી મોટો વૈશ્વિક મહોત્સવ વડોદરામાં શરૂ થયો છે. જેમાં વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર દ્વારા મુખ્ય શ્રીમદ્ ભાગવત કથાનું પણ કરાવી રહ્યા છે. 21થી 29 ડિસેમ્બર દરમિયાન યોજાનારા આ ગ્લોબલ હિન્દુ પ્રેરણા મહોત્સવમાં વડોદરા ઉપરાંત ગુજરાત અને દેશ વિદેશોથી લાખો લોકો ઉમટી પડ્યા છે અમેરિકા સહિત વિવિધ દેશોમાંથી 2000થી વધુ લોકો મહોત્સવમાં ભાગ લેવા માટે વડોરા આવ્યા છે. વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર દ્વારા સ્થાપિત પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની વિશ્વસ્તરની સંસ્થા VYO, જે આજે વિશ્વના 15 દેશોમાં સક્રિય રીતે કાર્યરત છે, તેની 15 વર્ષની ઉજવણી તથા પુષ્ટિમાર્ગનું ગુજરાતનું સૌથી મોટું આધ્યાત્મિક કેન્દ્ર વ્રજધામ આધ્યાત્મિક સંકુલના 25માં વર્ષની ઉજવણી નિમિત્તે આવતાં 21 થી 29 ડિસેમ્બર 2025 દરમિયાન વડોદરાના ઐતિહાસિક નવલખી મેદાન ખાતે ગ્લોબલ હિંદુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનું ભવ્ય અને ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાના શ્રદ્ધાળુઓને એક જ સ્થળે તીર્થ દર્શન સાથે વૃજ દર્શનનો અલભ્ય લાભ મળશે. આ ઉપરાંત આ તીર્થોના પવિત્ર જળ પણ લાવવામાં આવશે. જેમાં ગંગા, યમુના, નર્મદા સહિત ભારતની 29 પવિત્ર નદીઓનું તથા 64 કુંડ તીર્થંજળ વડોદરા લાવવામાં આવશે. સમગ્ર મહોત્સવ દરમિયાન દરરોજ 1,00,000થી વધુ શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક સાત્વિક ભોજન સેવા કરવામાં આવશે. શહેર તથા બહારગામના જરૂરિયાતમંદ નાગરિકોને 15,000 ઊનના કમ્બળોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. દરરોજ ગુજરાત અને દેશના વિવિધ શહેરો તથા ગામોમાંથી 100થી વધુ બસો દ્વારા શ્રદ્ધાળુઓ વડોદરા આવશે. આ ઉપરાંત હજારો શ્રદ્ધાળુઓ પોતાની વ્યક્તિગત વ્યવસ્થા દ્વારા વડોદરા શહેરના મહેમાન બનશે, તેઓ સંપૂર્ણ 9 દિવસ સુધી મહોત્સવના તમામ કાર્યક્રમો, કથા, યજ્ઞ અને દર્શનનો લાભ લેશે. બિઝનેસ એક્સ્પો અને વૈશ્વિક બિઝનેસ પ્લેટફોર્મ 350થી વધુ સ્ટોલ્સ સાથે ભવ્ય બિઝનેસ એક્સ્પો યોજાશે. વિશ્વભરના VYO ડોનર મેમ્બર્સ માટે બિઝનેસ સમિટ પણ થશે. તો VYO ઇન્ટરનેશનલ લીડર્સ કોન્કલેવ પણ યોજવામાં આવશે. આ મહોત્સવ દરમિયાન દેશ-વિદેશના સંતો, મહંતો, વૈષ્ણવા ચાર્યો, પીઠાધીશરો તથા રાજકીય, સામાજિક અને જાહેર જીવનના અનેક પ્રતિષ્ઠિત આગેવાનોની મંગલ ઉપસ્થિતિ રહેશે. મહોત્સવના મુખ્ય આકર્ષણો ભારત તીર્થ દર્શન - એક જ સ્થળે અલભ્ય આધ્યાત્મિક અનુભવ થશે. વડોદરામાં પ્રથમવાર ભારતના મુખ્ય તીર્થો, ધામો અને વૈષ્ણવ સ્થાનોની ભવ્ય ઝાંખી તૈયાર કરવામાં આવશે: 7 પુરાતન ધામો 1. બદ્રીનાથ 2. કેદારનાથ 3. ગંગોત્રી 4. યમુનોત્રી 5. દ્વારકાધીશ 6. જગન્નાથ પુરી 7. રામેશ્વરમ રાષ્ટ્રીય મંદિરો તિરુપતિ બાલાજી નાથદ્વારા શ્રીનાથજી અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાકૃતિક અને વૈષ્ણવ તીર્થો વિરાટ હિમાલય શ્રી ગિરિરાજજી (વ્રજ પરિસર) દરરોજ આ 5 યજ્ઞ થશે 1. વિષ્ણુ સહસ્રનામ યજ્ઞ 2. પુરુષોત્તમ યજ્ઞ 3. સંકર્ષણ યજ્ઞ 4. નરસિંહ-લક્ષ્મી યજ્ઞ 5. અપમાર્જન યજ્ઞ
છોટાઉદેપુર જિલ્લામાં રેતી માફિયાઓ બેફામ બન્યા છે અને અટકવાનું નામ નથી લઈ રહ્યા. આજે વહેલી સવારે સંખેડા તાલુકાના દમોલી ગામે વહેતી ઓરસંગ નદીમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન પર ગ્રામજનોએ ‘જનતા રેડ’ કરી હતી. ગ્રામજનોના રોષને જોઈને રેતી માફિયાઓ મશીનરી લઈને ભાગી છૂટ્યા હતા. જોકે, આ અંગે ખાણ-ખનીજ વિભાગને જાણ કરવા છતાં કોઈ અધિકારી સ્થળ પર ન પહોંચતા ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને તેઓ નદીમાં જ ધરણા પર બેસી ગયા હતા. જ્યારે ગ્રામજનો જ 100 ટ્રેક્ટર નદીમાં ઉતારી ખનન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. માફિયાઓમાં ફફડાટ, મશીનો લઈને ભાગ્યાપ્રાપ્ત વિગતો અનુસાર, દમોલી ગામ પાસે પસાર થતી ઓરસંગ નદીના પટમાં છેલ્લા કેટલાક સમયથી બેફામ ખનન ચાલી રહ્યું હતું. આજે વહેલી સવારે મોટા પાયે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની જાણ થતા ગામના જાગૃત યુવાનો અને ગ્રામજનો એકઠા થઈ નદીમાં પહોંચ્યા હતા. અચાનક આવી પડેલી જનતાને જોઈ માફિયાઓમાં નાસભાગ મચી ગઈ હતી અને તેઓ પોતાના મશીનો લઈને ઘટનાસ્થળેથી પલાયન થઈ ગયા હતા. અધિકારીઓની ઉદાસીનતા સામે સવાલગેરકાયદે ખનન અંગે ગ્રામજનોએ તાત્કાલિક ખાણ-ખનીજ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ઇન્ચાર્જ અધિકારીને ટેલિફોનિક જાણ કરી હતી. કલાકો વીતવા છતાં એક પણ સરકારી પ્રતિનિધિ કે અધિકારી તપાસ માટે ન આવતા ગ્રામજનોની ધીરજ ખૂટી હતી. તંત્રની આ ઉદાસીનતાના વિરોધમાં ગ્રામજનોએ નદીમાં જ ધરણા શરૂ કર્યા છે. રેતીમાફિયા સામે યુવાનો આક્રમક ઉલ્લેખનીય છે કે, છોટાઉદેપુર જિલ્લામાં ઓરસંગ નદી રેતી માફિયાઓ માટે જાણે સોનાની ખાણ બની હોય તેમ ગેરકાયદે પ્રવૃત્તિઓ ફૂલીફાલી છે. સરકારી તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડતા આ માફિયાઓ સામે તંત્ર વામણું સાબિત થતાં હવે યુવાનો આક્રમક પદ્ધતિ અપનાવી રહ્યા છે. થોડા દિવસ અગાઉ પાવી જેતપુરના રતનપુર અને લોઢણ ખાતે પણ ગ્રામજનોએ 7 મશીન અને 4 હાઈવા ટ્રક ઝડપી પાડ્યા હતા. ગ્રામજનોની આખરી ચીમકીદમોલીના ગ્રામજનોએ તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો સાંજ સુધીમાં ખાણ-ખનીજ વિભાગનો કોઈ અધિકારી સ્થળ પર પંચનામું કરવા કે કાર્યવાહી કરવા નહીં આવે, તો ગામના લોકો પોતાના ટ્રેક્ટરો નદીમાં ઉતારીને રેતી ભરવાનું શરૂ કરશે. હવે જોવાનું એ રહે છે કે નિંભર તંત્ર આ જનતાના આક્રોશ બાદ સફાળું જાગે છે કે કેમ?
વેરાવળ ખાતે ભારત વિકાસ પરિષદ - સોમનાથ દ્વારા કલાસંગમ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક બહેનો અને બાળકોમાં રહેલી છુપાયેલી પ્રતિભાને ઉજાગર કરી જાહેર મંચ પર રજૂ કરવાની ભાવનાથી આયોજિત આ કાર્યક્રમમાં જુદી જુદી સ્પર્ધાઓમાં 130થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વેરાવળ નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા આ કલાસંગમમાં કલા ના વિવિધ સ્વરૂપોનું પ્રદર્શન કરીને સમુદાયમાં સંસ્કૃતિક ચેતનાને પ્રોત્સાહન આપવાનો મુખ્ય ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન કલા, સર્જનાત્મકતા અને સામૂહિક ભાગીદારીનો અનોખો સંગમ જોવા મળ્યો. બાળકો માટે કલર સ્પર્ધા, ડ્રોઈંગ સ્પર્ધા તથા વેશભૂષા સ્પર્ધા રાખવામાં આવી હતી, જ્યારે 15 વર્ષથી ઉપરની વયના બહેનો અને ભાઈઓ માટે રંગોળી, મહેંદી અને ગ્રીન સલાડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ છ અલગ-અલગ સ્પર્ધાઓમાં મોટી સંખ્યામાં સ્પર્ધકો જોડાયા હતા. ડ્રોઈંગ સ્પર્ધામાં ખાસ “ઓપરેશન સિંદૂર” ની થીમ અપાઈ હતી, જ્યારે વેશભૂષા સ્પર્ધામાં ઐતિહાસિક વ્યક્તિત્વ ની થીમ રાખવામાં આવી હતી. બહેનો માટે આયોજિત મહેંદી અને રંગોળી સ્પર્ધામાં કલાત્મકતા અને સર્જનાત્મકતા જોવા મળી. કલાસંગમના આયોજનમાં વિશેષ ભૂમિકા ભજવનાર જસ્મિતાબેન ડાભીએ જણાવ્યું હતું કે, આજના મોબાઇલ યુગમાં બાળકો સહિત બહેનો-ભાઈઓ મોબાઇલમાં ઓતપ્રોત થઈ જતા હોવાથી તેમની અંદરની કળા અને કૌશલ્ય બહાર આવતું નથી. આવી સુષુપ્ત શક્તિને ઓળખી તેને જાહેર મંચ પર લાવવા માટે આ કલાસંગમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાઓના અંતે વિજેતા બનેલ સ્પર્ધકોને મોમેન્ટો તથા પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કલાસંગમને સફળ બનાવવા માટે ભારત વિકાસ પરિષદ – સોમનાથના તમામ સદસ્યો દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી. કલાસંગમ દ્વારા વેરાવળમાં કલા, સંસ્કૃતિ અને સામૂહિક સહભાગિતાનું સુંદર ઉદાહરણ સર્જાયું હોવાનું ઉપસ્થિત જનસમૂહે માન્યું હતું.
ગુજરાત ATSએ હરિયાણાના રોહિત ગોદારા અને નવીન બોક્સર ગેંગનો શૂટર કચ્છના રાપરમાંથી ઝડપી પાડ્યો છે.આરોપીએ હરિયાણાના કોર્ટ પરિસરમાં ગેંગવોરમાં હત્યા કરી હતી.આરોપીને આશ્રય આપનારની પણ ATSએ ધરપકડ કરી છે. વિકાસ ઉર્ફે ગોલુ હરિયાણાની નવી બોક્સર ગેંગનો સાગરિતગુજરાત ATSએ બાતમીના આધારે કચ્છના રાપરમાંથી હરિયાણાના નવીન બોક્સર ગેંગના શૂટર વિકાસ ઉર્ફે ગોલુ શ્યોરણની ધરપકડ કરી છે.વિકાસ નાગેશ્વર પાર્ક આર. ઓ પ્લાન્ટ કંપનીમાં પોતાના ઓળખીતા દિન્કેશ ગર્ગના ત્યાં રોકાયો હતો.ATS એ દિનેશ ગર્ગની પણ ધરપકડ કરી છે.ATSની પૂછરપછમાં સામે આવ્યું છે કે વિકાસે 4 સપ્ટેમ્બરે હરિયાણાના ભીવાની શહેરના કોર્ટ પરિસરમાં અજય તથા રોહિત સાથે મળીને લવજીત નામના વ્યક્તિની હત્યા કરી હતી. હરિયાણામાં ગેંગવોરમાં થયેલી હત્યા કેસમાં ફરાર હતોહત્યા માટે પિસ્તોલ રોહિત ગોદારા દ્વારા મોકલવામાં આવી હતી.આ હત્યાનો બનાવ બે ગેંગ વચ્ચે ચાલી રહેલી ગેંગોરની અદાવતમાં બન્યો હતો.આ અંગે ભીવાની પોલીસ લાઈન પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. રોહિત ગોદારા પણ નવીન બોક્સર ગેંગ નો સભ્ય છે.હત્યા બાદ વિકાસ નાસ્તો ફરતો હતો અને નવેમ્બર મહિનામાં રોહિત ગોદારાની સૂચનાથી દિન્કેશે રાપરમાં વિકાસને આશ્રય આપ્યો હતો..હાલ બંને આરોપીઓનો કબજો હરિયાણા પોલીસને સોંપવા માટે તજવીજ હાથ ધરી છે.
બાલાસિનોરમાં કમળાના કેસ વધ્યા:જિલ્લા કલેક્ટરે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી, સાવચેત રહેવા અપીલ
મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં કમળાના કેસમાં વધારો નોંધાયો છે. નગરપાલિકાની 70 વર્ષ જૂની પાણીની પાઇપલાઇન અને નજીકમાં આવેલી સિવેજ લાઇનના કારણે પાણી દૂષિત થતું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. આરોગ્ય વિભાગ અને નગરપાલિકાની ટીમો સતત કાર્યરત છે. છેલ્લા 15-20 દિવસથી આરોગ્ય ટીમો દ્વારા સર્વે ચાલી રહ્યો છે, જેમાં હવે 52 ટીમોને જોડવામાં આવી છે. આ ટીમો પાણીની ગુણવત્તા (ફિટ/અનફિટ, ક્લોરિનેટેડ) તપાસશે અને કમળાના લક્ષણો ધરાવતા દર્દીઓને સારવાર, દવાઓ અને જરૂર પડ્યે રેફરલ સેવાઓ પૂરી પાડશે. લોકોને જાગૃત કરવા માટે IEC (માહિતી, શિક્ષણ અને સંચાર) પ્રવૃત્તિઓ પણ ચાલી રહી છે, જેમાં પાણી ઉકાળીને પીવા અંગે માર્ગદર્શન અપાય છે. નગરપાલિકા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં પીવાના પાણીના ટેન્કર મોકલવામાં આવી રહ્યા છે. કલેક્ટરે લોકોને ઉકાળેલું પાણી પીવા અને કમળાના કોઈ પણ લક્ષણો જણાય તો નજીકની હોસ્પિટલમાં તપાસ કરાવવા અપીલ કરી હતી. પાણીની પાઇપલાઇનની ખરાબી અંગે JUIDM (ગુજરાત અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ મિશન)ની ટીમે પણ સર્વે કર્યો છે. સરકારી વિભાગો દ્વારા પાઇપલાઇનમાં જરૂરી સુધારાત્મક કાર્યવાહી કરવામાં આવશે. જ્યાં સુધી કમળાના કેસો નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી આરોગ્ય અને નગરપાલિકાની ટીમો કાર્યરત રહેશે.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે.ગોમતીપુરમાં આવેલી ચાલીમાં ત્રણ શખ્સો તલવાર લઈને ઘૂસી ગયા હતા.ત્રણેયે તલવાર લઈને એક યુવકના ઘરની બહાર તોડફોડ કરી હતી.તલવાર વડે ડરાવી યુવકના પરિવારને ગાળો આપીને નીચે બોલાવ્યા હતા.ગોમતીપુર પોલીસે આ અંગે ગુનો નોધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. બંને હાથમાં તલવારો લઈ આતંક મચાવ્યોઅમદાવાદન ગોમતીપુરમાં આવેલી છોટાલાલની ચાલી પાસે મેરાજ અંસારી,અફસર અંસારી અને ફૈઝલ અન્સારી નામના ત્રણ શખ્સો તલવાર લઈને ચાલીમાં આતંક મચાવ્યો હતો.ઈકબાલ પઠાણ નામના યુવકના ઘરની બહાર પડેલા વાહનોમાં તોડફોડ કરી હતી.ત્રણેય શખ્સોએ તલવાર વડે લોકોને ડરાવ્યા હતા.ઈકબાલ અને તેના પરિવારના સભ્યોને ચેતવણી આપીને નીચે બોલાવ્યા હતા.સમગ્ર વિસ્તારમાં આતંક મચાવતા સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. ત્રણ શખસોની ધરપકડ કરવામાં આવીઈકબાલ પઠાણે ત્રણેય વિરુદ્ધ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.ગોમતીપુર પોલીસ સ્ટેશનના પીઆઇ ડી. વી રાણાએ જણાવ્યું હતું કે વિડિઓ સામે આવતા જ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ.નોધી હતી.ત્રણેય આરોપીઓને ગણતરીના કલાકમાં ઝડપીને જેલના હવાલે કર્યા છે.
સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી:27 ગુજરાત NCC બટાલિયન દ્વારા કેડેટ્સે પદયાત્રા યોજવામાં આવી
27 ગુજરાત બટાલિયન એનસીસી દ્વારા ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે એક પદયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં 170 એનસીસી કેડેટ્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. કેડેટ્સે દેશભક્તિના નારા લગાવ્યા હતા અને એકતા, શિસ્ત તથા રાષ્ટ્રીય એકીકરણનો સંદેશ ફેલાવ્યો હતો. આ પદયાત્રા સરદાર પટેલના વારસાને સન્માનિત કરવા માટે યોજાઈ હતી, જેમણે દેશના ઇતિહાસને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં રાષ્ટ્રીય એકીકરણ અને દેશભક્તિને પ્રોત્સાહન આપવાનો હતો. 27 ગુજરાત બટાલિયન એનસીસીની આ પહેલ દેશભક્તિ અને રાષ્ટ્રીય અભિમાન જાળવવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પદયાત્રા એક મોટી સફળતા હતી, જેના દ્વારા એકતા અને અખંડિતતાનો સંદેશ વ્યાપકપણે ફેલાયો હતો. સરદાર પટેલના જીવન અને વારસાની આ ઉજવણી ભવિષ્યની પેઢીઓને પ્રેરણા આપશે.
સુરત શહેરમાં નશા અને પ્રતિબંધિત વસ્તુઓના વેચાણને ડામવા માટે સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે. તાજેતરમાં શહેરના ઝોન-3 વિસ્તારમાં આવતા વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા ગેરકાયદેસર રીતે વેચાતા હુક્કા, ગોગો પેપર અને હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટો વિરુદ્ધ સપાટો બોલાવવામાં આવ્યો છે. ઝોન-3 પોલીસના માર્ગદર્શન હેઠળ પાંચ પોલીસ સ્ટેશનોએ સંયુક્ત રીતે હાથ ધરેલી આ ઝુંબેશમાં કુલ 24 જેટલા ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે નિયમોનું ઉલ્લંઘન કરતા 13થી વધુ પાનના ગલ્લા ધારકો અને દુકાનદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય માટે જોખમી અને સરકાર દ્વારા નિર્ધારિત 'હેલ્થ વોર્નિંગ' (ચેતવણી) વગરની સિગારેટનું વેચાણ કરતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા છે. મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્તપોલીસના આ દરોડા દરમિયાન લાખોની કિંમતનો ગેરકાયદેસર જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં હુક્કા અને ફ્લેવર્સ વિવિધ પ્રકારના હુક્કા અને પ્રતિબંધિત ફ્લેવરનો જથ્થો, ગોગો પેપર અને રોલિંગ પેપર નશા માટે વપરાતા ફેન્સી રોલિંગ પેપર્સ, પેકેટ પર ફરજિયાત સ્વાસ્થ્ય ચેતવણી વગરની વિદેશી બ્રાન્ડની સિગારેટોનો સમાવેશ થાય છે. આ પણ વાંચો... રાજ્ય સરકારે ગોગો પેપરના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો, ભાસ્કર સ્ટિંગ બાદ નિર્ણયઆગામી દિવસોમાં પણ કાર્યવાહી શરૂ રહેશેપોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, યુવાધનને નશાના રવાડે ચઢાવતી આ પ્રવૃત્તિઓ સામે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે. ગેરકાયદેસર વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. પાનના ગલ્લાઓ અને નાની-મોટી દુકાનો પર દરોડાઃ DCPરાઘવ જૈન (ડીસીપી) એ જણાવ્યું હતું કે, તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા જાહેરનામા મુજબ, બજારમાં જાહેરમાં વેચાતા ગોગો પેપર અને રોલિંગ પેપર જેવા પદાર્થો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઝોન-3 ના વિવિધ પોલીસ સ્ટેશન જેવા કે મહિધરપુરા, કતારગામ, સિંગણપોર, ચોકબજાર અને લાલગેટ વિસ્તારમાં પાનના ગલ્લાઓ અને નાની-મોટી દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. કુલ 24 જેટલા કેસ નોંધવામાં આવ્યા છે. જાહેરનામા ભંગના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદન અધિનિયમ (COTPA) હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે. ગેરકાયદેસર હુક્કા વેચનારાઓ વિરુદ્ધ પણ કેસ કરવામાં આવ્યા છે. પણ વાંચો: ગાંજો પ્રતિબંધિત તો પીવા માટે 'ગોગો પેપર'નું બેરોકટોક વેચાણ કેમ? નાગરિકોને વેચાણ અંગેની જાણ કરવા અપીલપોલીસ દ્વારા મીડિયાના માધ્યમથી લોકોને વિનંતી કરવામાં આવી છે કે, જો કોઈ પણ દુકાન કે ગલ્લા પર આવા પ્રતિબંધિત રોલિંગ પેપર કે ગોગો પેપરનું વેચાણ થતું હોય, તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા પોલીસ ચોકીમાં જાણ કરવી. સુરત પોલીસ આવનારા દિવસોમાં આ અભિયાનને વધુ તેજ બનાવશે.
જામનગરના અગ્રણી બિલ્ડર જમન ફળદુ અને તેમના પુત્રને સોશિયલ મીડિયા પર બદનામ કરવાનું ષડયંત્ર સામે આવ્યું છે. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં બે અજાણ્યા ID ધારકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પરની બે જુદી જુદી ID દ્વારા બિલ્ડર અને તેમના પુત્રના ફોટાને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી એડિટ કરીને આ ફોટા અપલોડ કરીને સમાજમાં બદનામ કરવાનો પ્રયાસ કરાયો હતો, તેમજ ઉશ્કેરણીજનક અને અપમાનજનક લખાણો પણ લખવામાં આવ્યા હતા. આ ઉપરાંત, જમન ફળદુએ જે બે ખેડૂતો પાસેથી જમીન ખરીદી હતી, તે બંનેને પણ ધમકીઓ આપવામાં આવી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. સાયબર ક્રાઈમ પોલીસની ટીમ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે. જામનગરના ઓશવાળ કોલોની વિસ્તારમાં રહેતા અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા જમન શામજીભાઈ ફળદુએ ગઈકાલે સાયબર પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. તેમણે જુદી જુદી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ IDના બે વપરાશકર્તા અજાણ્યા શખ્સો સામે બદનામી અને આપત્તિજનક વીડિયો-ફોટો અપલોડ કરવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે, બિલ્ડર જમન ફળદુ અને તેમના પુત્રને સમાજમાં બદનામ કરવા, સસ્તી પ્રસિદ્ધિ મેળવવા અથવા પૈસા પડાવવા માટે કોઈ અજ્ઞાત વ્યક્તિ દ્વારા આ કાવતરું કરવામાં આવ્યું છે. જમન ફળદુએ ફરિયાદમાં જણાવ્યું છે કે, 'વિશાલ કણસાગરા' નામની IDનો ઉપયોગ કરનાર વ્યક્તિએ તેમને બદનામ કરતું લખાણ લખ્યું હતું અને નીચે અલગ અલગ ફોટાઓ મૂક્યા હતા. આ લખાણ અને ફોટાઓ સાથે તેમને તથા તેમના પુત્ર વિશે ખોટી માહિતી ફેલાવતા અને બદનામ કરતા AI-એડિટેડ વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યા હતા. તેમણે આ IDના સ્ક્રીનશોટ પાડીને સાયબર ક્રાઈમ પોલીસ સમક્ષ રજૂ કર્યા છે. વધુમાં, જમનભાઈએ જે ખેડૂતો પાસેથી જમીન ખરીદી હતી, તેમને પણ ધાકધમકી આપવામાં આવી છે. આ બંને ખેડૂતોને પણ બદનામ કરવાનો પ્રયાસ થયો હતો. ખેડૂતોએ પોતાના મોબાઈલમાંથી પોતાની ID દ્વારા ઉપરોક્ત ફેસબુક ID 'વિશાલ કણસાગરા' પર મેસેજ કર્યા હતા. ત્યારે આ અજાણ્યા ID ધારકે તેમને મેસેજમાં ગાળો આપી ઘરમાંથી કાઢી કાઢીને મારીશ તેવી ધમકી આપી હતી. જે ફરિયાદના અનુસંધાને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પી.આઇ. આઈ.એ. ધાસુરા એ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 336(2),336,(4),351(4),352,356 તથા આઈ.ટી.એક્ટ 66 (સી) મુજબ ગુનો નોંધ્યો છે, અને ઉપરોક્ત બંને આઈડી ધારક ને શોધવા માટે સોશિયલ મીડિયા ના માધ્યમથી કવાયત શરૂ કરી છે.
52મા મહોત્સવમાં ક્વિઝ સ્પર્ધાના પરિણામો જાહેર:વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ આયોજિત કરી હતી
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા આયોજિત 52મા મહોત્સવમાં ક્વિઝ સ્પર્ધાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ સ્પર્ધામાં યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગે પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ ક્વિઝ સ્પર્ધાનો પ્રારંભ રંગમંચ 5, અર્થશાસ્ત્ર વિભાગ ખાતે સાંજે 4 કલાકે થયો હતો. સ્પર્ધામાં આશરે 54 કોલેજોના કુલ 165 વિદ્યાર્થીઓએ ભાગ લેવા માટે નોંધણી કરાવી હતી. સ્પર્ધાના જાહેર કરાયેલા પરિણામો અનુસાર, પ્રથમ ક્રમે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતનો અર્થશાસ્ત્ર વિભાગ રહ્યો છે. બીજા ક્રમે સરકારી આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજ, લિંબાયત, સુરત જ્યારે ત્રીજા ક્રમે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતનો ભૌતિકશાસ્ત્ર વિભાગ વિજેતા બન્યો છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા આયોજિત 52મા યુવા મહોત્સવ અંતર્ગત સ્પોટ ફોટોગ્રાફી સ્પર્ધાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ સ્પર્ધામાં વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ફોટોગ્રાફી સ્પર્ધાનો પ્રારંભ યુનિવર્સિટીના રંગમંચ 6, ગુજરાતી વિભાગ ખાતે સાંજે 4 કલાકે થયો હતો. જેમાં આશરે 50 કોલેજોના કુલ 41 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવી પોતાની કલાકારીનું પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધાના અંતે વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. પ્રથમ ક્રમ કપાડિયા જોય ભુપેન્દ્ર કુમારે મેળવ્યો હતો, જેઓ વી.એન.એસ.જી.યુ.ના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટિરિયરના વિદ્યાર્થી છે. બીજો ક્રમ શ્રીમદ રાજચંદ્ર વિદ્યાપીઠ, ધરમપુરના પટેલ કરીશ રીતેશભાઈને ફાળે ગયો હતો. જ્યારે ત્રીજો ક્રમ સી.બી. પટેલ કમ્પ્યુટર કોલેજ, ભરથાણાના વરદેહ પ્રસિક સિદ્ધાર્થને મળ્યો હતો.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 52મા યુવા મહોત્સવ અંતર્ગત યોજાયેલી ઇન્સ્ટોલેશન સ્પર્ધાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ સ્પર્ધામાં વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઇન્સ્ટોલેશન સ્પર્ધાનો પ્રારંભ રંગમંચ 8, સમાજ વિજ્ઞાન ભવન ખાતે બપોરે 12 કલાકે થયો હતો. જેમાં આશરે 10 કોલેજોના કુલ 40 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. સ્પર્ધામાં અંબાબા કોમર્સ કોલેજ, સાબરગામે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. વિજેતા વિદ્યાર્થીઓમાં મહારાણા ગણેશ દંડપાની, તવાર ખુશી જગદીશ, મેંદવાદે સોનલ ઉમેશ અને મિશ્રા આયુષ વિભવચંદ્રનો સમાવેશ થાય છે. દ્વિતીય ક્રમ જે. ઝેડ. શાહ આર્ટસ કોલેજ, અમરોલીએ મેળવ્યો છે. આ કોલેજના વિજેતા વિદ્યાર્થીઓ ઘોઘારી ઉર્વશી રમેશ, રાઠોડ તુલસી સુરેશ, રાઠોડ વિરલબેન જયેશ અને વરીયા રૂષિતા મુકેશ છે. જ્યારે શ્રીમંદ રાજચંદ્ર વિદ્યાપીઠ, ધરમપુરને ત્રીજો ક્રમ મળ્યો છે. આ ટીમમાં બારોટ કૌશલ રવીભાઈ, ભગર્યા સચિન ભગુભાઈ, બ્રહ્માંકચ્છ વિરલ પંકજ અને ખાંદ્ર કરણ મોહનનો સમાવેશ થાય છે.
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત 52મા યુવા મહોત્સવના પ્રથમ દિવસે સ્કીટ સ્પર્ધાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ સ્પર્ધામાં J.Z.Shah Arts H.P.Desai Commerce College પ્રથમ ક્રમે રહ્યું હતું. રંગમંચ 1 કન્વેન્શન હૉલ ખાતે બપોરે 12 કલાકે સ્કીટ સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. જેમાં આશરે 22 કોલેજોના કુલ 183 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં Sheth C.D.Barfiwala Commerce College બીજા ક્રમે અને D.R.Patel R.B.Patel Commerce College, ભર્થના ત્રીજા ક્રમે રહ્યા હતા.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય (VNSGU) દ્વારા અમાસના દિવસે સાઉન્ડ હીલિંગ દ્વારા ડીપ મેડિટેશન કાર્યક્રમનું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને સુધારવાનો હતો. સુપ્રીમ કોર્ટની સૂચના મુજબ, દરેક શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. VNSGUના ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈન આર્ટસની 20 વર્ષની ઉજવણીના ભાગરૂપે, નેશનલ ટાસ્ક ફોર્સ કમિટીના નોડલ ઓફિસર અંકિત પટેલ અને વિદ્યાર્થી નોડલ ઓફિસર હર્ષ ટેલર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વિભાગના કો-ઓર્ડીનેટર અંકિત ચાંગાવાળાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સંપન્ન થયો. આ સાઉન્ડ હીલિંગ મેડિટેશન નિર્વાણ હીલિંગ સેન્ટરના માસ્ટર ધીરુભાઈ જરીવાલા દ્વારા કરાવવામાં આવ્યું હતું. અમાસનો દિવસ ગહન વિચારણા, આત્મનિરીક્ષણ અને નવા સંકલ્પો માટે એક શક્તિશાળી ક્ષણ માનવામાં આવે છે. આ દુર્લભ ક્ષણનો લાભ લઈને સહભાગીઓને પરિવર્તન સ્વીકારવા અને જીવનચક્રનું સન્માન કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ અદભુત સાઉન્ડ હીલિંગ પ્રક્રિયાનો અનુભવ લેવા માટે વિશ્વવિદ્યાલયના કુલપતિ ડોક્ટર કિશનસિંહ ચાવડા, વિભાગના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વિભાગીય વડાઓ સહિત અનેક લોકોએ હાજરી આપી હતી.
ગુજરાતી સિંગર કિંજલ દવે અને ધ્રુવીન શાહની સગાઈ થયા બાદ 20મી ડિસેમ્બરે અમદાવાદમાં રિસેપ્શન યોજાયું હતું. જેમાં ગુજરાતી મનોરંજન જગતના સિતારાઓએ હાજરી આપી કિંજલ અને ધ્રુવીનને શુભેચ્છા પાઠવી હતી. રિસેપ્શનમાં હાજરી આપવા આવેલા ખજૂરભાઈ સહિતના સેલિબ્રેટીઓએ કપલ સાથે ગરબે ઘૂમ્યા હતા. રિસેપ્શનમાં કિંજલ દવે લાલ કલરની સાડીમાં જોવા મળી હતી. અમદાવાદના YMCA ક્લબ ખાતે ભવ્ય રિસેપ્શન યોજાયુંઅમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલી જાણીતી YMCA ક્લબ ખાતે કિંજલ દવે અને ધ્રુવીન શાહની સગાઈનું ગ્રાન્ડ રિસેપ્શન યોજાયું હતું. આ પ્રસંગે કિંજલ દવે લાલ રંગની સાડીમાં અત્યંત સુંદર લાગી રહી હતી, જ્યારે તેના મંગેતર ધ્રુવીન શાહે પણ તેની સાથે ભવ્ય એન્ટ્રી કરી હતી. ગુજરાતી કલાકારોનો જમાવડોઆ પ્રસંગ માત્ર પારિવારિક ઉત્સવ ન રહેતા ગુજરાતી ફિલ્મ અને સંગીત જગતનું એક મોટું સ્નેહમિલન બની ગયું હતું. રિસેપ્શનમાં જાણીતા કલાકારો હાજર રહ્યા હતા. ગીતા રબારી, વિક્રમ ઠાકોર, રાકેશ બારોટ, જીગ્નેશ બારોટ, ઉર્વશી રાદડિયા, અલ્પા પટેલ, કાજલ મહેરિયા, હિતુ કનોડિયા, મોનલ ગજ્જર, તત્સત અને આરોહી, કુશલ મિસ્ત્રી,ખજૂર (નીતિન જાની), તરુણ જાની, 'લાલો' ફિલ્મની ટીમ, જતીન અને પાર્થ (પરમ મિત્ર ટીમ) હાજર રહી હતી. ખજૂરભાઈ સહિતના સેલિબ્રેટી કિંજલ અને ધ્રુવીન સાથે ગરબે ઘૂમ્યારિસેપ્શનના અંતે કિંજલ દવે, ધ્રુવીન શાહ અને ઉપસ્થિત તમામ કલાકારોએ મન મૂકીને ગરબા કર્યા હતા. ગુજરાતી કલાકારોના સૂર અને તાલે આખી સાંજ ગુંજી ઉઠી હતી અને મહેફિલમાં એક અલગ જ રોનક જોવા મળી હતી. વિવાદોની વચ્ચે ખુશીનો પ્રસંગનોંધનીય છે કે, કિંજલ દવેની આ સગાઈ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. અગાઉ થયેલી કેટલીક સામાજિક ગૂંચવણો અને સમાજના વિરોધને કારણે આ બાબત સોશિયલ મીડિયા પર ટોક ઓફ ધ ટાઉન બની હતી. ચાહકોનો મોટો વર્ગ કિંજલના આ નવા જીવનના આરંભને આવકારી રહ્યો છે. બીજી તરફ સામાજિક કારણોસર કેટલાક લોકો દ્વારા હજુ પણ વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. જોકે, આ તમામ વિવાદોને બાજુ પર રાખીને કિંજલ અને તેના પરિવારે આ ખુશીના અવસરને ધામધૂમથી ઉજવ્યો હતો. આ સમાચાર પણ વાંચોઃગુજરાતી સિંગર કિંજલ દવેએ સગાઈ કરી:લાંબા સમયનાં ડેટિંગ એક્ટર-બિઝનેસમેન સાથે વીડિયો FB પર પોસ્ટ કર્યો, જાણો કોણ છે મંગેતર લોકપ્રિય ગુજરાતી સિંગર કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ સગાઈ કરી લીધી છે, ત્યારે આ સગાઈનો વીડિયો કિંજલ દવેએ પોતાના ફેસબુક પેજ પોસ્ટ કરી ઓફિશિયલ જાહેરાત કરી છે. કિંજલ દવેએ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે. આ યુગલની સગાઈના સમાચારથી તેમના ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. (સંપૂર્ણ સમાચાર વાંચો) 'કિંજલ દવેએ કોઈ વિધર્મી સાથે ભાગીને લગ્ન નથી કર્યા':એક્ટ્રેસ-સિંગર અને મહિલા આગેવાન સહિતના લોકોનું કિંજલને સમર્થન લોકપ્રિય ગુજરાતી સિંગર કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી હતી. આ સગાઈનો વીડિયો કિંજલ દવેએ પોતાના ફેસબુક પેજ પોસ્ટ કરી ઓફિશિયલ જાહેરાત કરી હતી. જોકે, કિંજલ દવેએ પોતાની જ્ઞાતિની બહાર સગાઈ કરવાને કારણે 14 ડિસેમ્બરે પાંચ પરગણા બ્રહ્મ સમાજે તેનો બહિષ્કાર કર્યો હતો. કિંજલ દવે અને તેના પરિવારને સમાજમાંથી બહિષ્કાર કરવાનો મામલો હાલ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. આ વિવાદાસ્પદ મુદ્દે સમાજ બે ભાગમાં વહેંચાયેલો જોવા મળી રહ્યો છે. જેમાં કેટલાક લોકો બ્રહ્મ સમાજના આ નિર્ણયને સમર્થન આપી રહ્યા છે તો ઘણા લોકો આ નિર્ણયનો વિરોધમાં સામે આવી કિંજલ દવેને સપોર્ટ કરી રહ્યા છે. (સંપૂર્ણ સમાચાર વાંચો) 'કિંજલબેન દવેની માનસિકતા હલકી છે':'સમાજને નીચો દેખાડવાની કોશિશ ન કરો, સગાઈ પહેલા પરિવારને પણ જાણ નહોતી કરી', પાંચ પરગણા બ્રહ્મ સમાજ આકરા પાણીએ તાજેતરમાં લોકપ્રિય ગુજરાતી સિંગર કિંજલ દવેએ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી લીધી છે. પોતાની જ્ઞાતિની બહાર સગાઈ કરવાને કારણે 14 ડિસેમ્બરે પાંચ પરગણા બ્રહ્મ સમાજે તેનો બહિષ્કાર કર્યો છે. જો કે તેની સામે કિંજલે FB પર એક વીડિયો પોસ્ટ કરી કહ્યું હતું કે, શું બે-ચાર અસામાજિક તત્વો લાઈફ પાર્ટનર નક્કી કરશે? આ વિવાદ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે અને તેના પર ડિબેટ્સ થવા લાગી છે. આ સમગ્ર વિવાદ મામલે દિવ્ય ભાસ્કરે પાંચ પરગણા બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ જનક જોષી સાથે વાત કરતી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, કિંજલબેન દવેની માનસિકતા હલકી છે. સમાજને નીચો દેખાડવાનો પ્રયાસ કરશો નહીં. સગાઈ કરતા પહેલાં પરિવારને પણ જાણ કરી નહોતી. (સંપૂર્ણ સમાચાર વાંચો)
સિલ્વર ઓક કિડ્સનો વાર્ષિકોત્સવ ભારત કા સફર – કાશ્મીરથી કન્યાકુમારી: ઇન્ડિયા કમ્સ એલાઈવ થીમ સાથે ઉત્સાહભેર ઉજવાયો હતો. આ કાર્યક્રમ દ્વારા ભારતની એકતામાં વિવિધતાની ભાવનાને સુંદર રીતે રજૂ કરવામાં આવી હતી. આ વાર્ષિકોત્સવમાં વિદ્યાર્થીઓએ દેશના વિવિધ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતી સાંસ્કૃતિક રજૂઆતો કરી હતી. તેમણે નૃત્ય, અભિનય અને લોકકલા દ્વારા ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરને જીવંત કરી બતાવી. રંગબેરંગી પરંપરાગત વેશભૂષામાં સજ્જ નાના કલાકારોએ તેમની ઉત્કૃષ્ટ રજૂઆતથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે શિક્ષકોએ પણ વિવિધ રાજ્યોના પરંપરાગત વસ્ત્રોમાં હાજરી આપી હતી. તેમણે કાર્યક્રમને વિશેષ આકર્ષણ પૂરું પાડ્યું અને સૌહાર્દ, એકતા તથા સહભાગિતાનો સંદેશ મજબૂત કર્યો. આ સમગ્ર ઉજવણી વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત સૌ માટે યાદગાર બની રહી. આનાથી સંસ્કૃતિ પ્રત્યેનો ગૌરવ અને રાષ્ટ્રીય એકતાની ભાવના વધુ મજબૂત બની હતી.
સંજીવની ફાઉન્ડેશન પ્રી-સ્કૂલમાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી:નાના ભૂલકાઓ માટે વિવિધ રમતગમતનું આયોજન
અમદાવાદના રાઇખડ વિસ્તારમાં આવેલી સંજીવની ફાઉન્ડેશન પ્રી-સ્કૂલમાં તાજેતરમાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રી-સ્કૂલના નાના ભૂલકાઓ માટે તેમની ઉંમરને અનુરૂપ વિવિધ રમતગમતનું આયોજન કરાયું હતું. સ્પોર્ટ્સ ડે દરમિયાન દોડ સ્પર્ધા, બોલ રમતો, રિંગ થ્રો અને બેલેન્સ ગેમ સહિતની રમતોમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શિક્ષકોએ બાળકોને પ્રોત્સાહન આપી રમતોનું મહત્વ સમજાવ્યું હતું. શાળાના સંચાલકોએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો બાળકોના શારીરિક, માનસિક અને સામાજિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સ્પોર્ટ્સ ડેની ઉજવણીથી બાળકો તેમજ વાલીઓમાં પણ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
વેરાવળ શહેરની મુખ્ય બજારમાં વહેલી સવારે જૂના મનદુઃખના કારણે એક આધેડની તેમના જ સાળા સહિત છ શખ્સોએ ઘાતકી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પરોઢિયે ઠંડીના સન્નાટા વચ્ચે બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી ચાર આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે બે હજુ પણ ફરાર છે. મળતી વિગત મુજબ, વેરાવળ આવાસ કોલોનીમાં રહેતા 50 વર્ષીય પુનાભાઈ બાબુભાઈ સોલંકી ગત તા. 19 ડિસેમ્બરના રોજ વહેલી સવારે આશરે પાંચ વાગ્યે શાકમાર્કેટ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન મુખ્ય બજારના સુભાષ રોડ પર તેમનો સામનો મુકેશ બધા, સંજય બધા, ચંદા સંજય, મુકતા કાના, સુનીલ કાના અને સાહિલ સોલંકી સાથે થયો હતો. મનદુઃખના કારણે બોલાચાલીઅગાઉથી ચાલી આવતા મનદુઃખના કારણે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે જોતજોતામાં લોહિયાળ સંઘર્ષમાં ફેરવાઈ ગઈ હતી. ઉશ્કેરાયેલા છ શખ્સોએ લાકડી, લોખંડની પાઈપ અને પથ્થરો વડે પુનાભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો. હોસ્પિટલમાં મૃત જાહેર કરાયાહુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પુનાભાઈ અને અન્ય એક વ્યક્તિ સંજયને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે વેરાવળ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તપાસ બાદ પુનાભાઈ (ઉંમર 50)ને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ, સારવાર હેઠળ રહેલો ઈજાગ્રસ્ત આરોપી સંજય પ્રાથમિક સારવાર લીધા બાદ હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ કાર્યવાહી અને ધરપકડઘટના અંગે માહિતી આપતા વિભાગીય પોલીસ અધિકારી વી.આર. ખેંગારે જણાવ્યું હતું કે, મૃતકની પત્ની મંગુબેન સોલંકીની ફરિયાદના આધારે છ શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને કુલ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. બાકીના 2 આરોપીઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ કૌટુંબિક મનદુઃખ કારણભૂત હોવાનું બહાર આવ્યું છે. ધોળા દિવસે થયેલી આ ઘટનાએ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો ઉભા કર્યા છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)ના 52મા યુવા મહોત્સવના પ્રથમ દિવસે યોજાયેલી રીલ મેકિંગ સ્પર્ધાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ સ્પર્ધાનો પ્રારંભ રંગમંચ 6, ગુજરાતી વિભાગ ખાતે બપોરે 12 કલાકે થયો હતો. જેમાં આશરે 28 કોલેજોના કુલ 26 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રીલ મેકિંગ સ્પર્ધાના વિજેતાઓ નીચે મુજબ છે પ્રથમ ક્રમ: શેઠ પી.ટી. મહિલા કોલેજ ઓફ આર્ટસ એન્ડ હોમ સાયન્સ બીજો ક્રમ: એસ.ડી.જે. ઇન્ટરનેશનલ કોલેજ, વેસુ ત્રીજો ક્રમ: બી.પી. બારૈયા સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી
અમદાવાદમાં ઉદય ફાઉન્ડેશન દ્વારા શહેરના જરૂરિયાતમંદ લોકોને ઠંડીથી બચાવવા માટે ધાબળા, સ્વેટર અને જેકેટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. આ સેવાકાર્ય રાત્રિના સમયે હાથ ધરવામાં આવ્યું હતું. સંસ્થાની જુદી જુદી ટીમોએ રાત્રે 11 થી 2 વાગ્યા સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી.ઉદય ફાઉન્ડેશન પર્યાવરણ જાળવણી ઉપરાંત અન્ય સામાજિક સેવાના કાર્યો પણ કરે છે.
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા મહાવીર ગોપાલ મહેક સેવા સંકુલ ખાતે મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વાર્ષિક મહોત્સવ-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આર્થિક રીતે વંચિત 1000 બહેનોને ગરમ ધાબળાનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા કુલ 2000 ધાબળા વિતરણ કરવાનો લક્ષ્યાંક છે. શિયાળાની વધતી ઠંડીને ધ્યાનમાં રાખીને સમાજની જરૂરિયાતમંદ બહેનોને ઠંડીથી રક્ષણ મળે તે હેતુસર આ ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ મંગલ નવકાર મહેક બચત અને ધિરાણ સહકારી મંડળી લિ.ના વાર્ષિક મહોત્સવ અંતર્ગત યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરના મેયર મીરાબેન પટેલ, ભુદરદાસ સેવાનિધિ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ તેમજ મુંબઈના જૈન પ્રેમભક્તિ ગ્રુપના જ્યોતિબેન શાહ અને જગદીશભાઈ શાહ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ધર્મ જાગૃતિ કેન્દ્રના પ્રમુખ પ્રમોદભાઈ શાહ, દિનેશભાઈ શાહ, તેમજ મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટના વીરુભાઈ અલગોતર અને મુકેશભાઈ ચૌધરી પણ હાજર રહ્યા હતા. મંગલ નવકાર મહેક બચત અને ધિરાણ સહકારી મંડળી લિ. આર્થિક રીતે વંચિત વર્ગ માટે કાર્ય કરતી એક અગ્રણી સહકારી સંસ્થા છે. સંસ્થા મહિલા સશક્તિકરણ અંતર્ગત માર્ગદર્શન, શિક્ષણ, આરોગ્ય, રોજગારલક્ષી તાલીમ અને વ્યસનમુક્તિ જેવી વિવિધ પ્રવૃત્તિઓ ચલાવે છે. “આપણી દુકાન” યોજના દ્વારા ગુણવત્તાવાળી ચીજવસ્તુઓ પોસાય તેવા ભાવે ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો પણ સતત કરવામાં આવે છે. ખાસ કરીને સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલી અંદાજે 1500 બહેનોને આર્થિક રીતે સશક્ત બનાવવા સંસ્થા કાર્યરત છે. કાર્યક્રમ દરમિયાન “માનવ કથા” દ્વારા વક્તા નયનાબેને સારા જીવન જીવવાની પદ્ધતિ વિષય પર પ્રેરણાદાયી રજૂઆત કરી હતી. આ ઉપરાંત, નાના બાળકોએ મનમોહક નૃત્ય અને બેન્ડ વાદન દ્વારા ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સંસ્થાની વિવિધ સેવાપ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે ભુદરદાસ સેવાનિધિ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલે મહત્વની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે સિલાઈ તાલીમ પૂર્ણ કરેલી અને રોજગાર માટે સિલાઈ મશીનની જરૂરિયાત ધરાવતી બહેનોને ટ્રસ્ટ તરફથી સિલાઈ મશીન આપવામાં આવશે. તેમજ કોલેજમાં અભ્યાસ કરતા અને ૬૫ ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય પણ પૂરી પાડવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુકેશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 1000થી વધુ બહેનોની વિશાળ ઉપસ્થિતિ રહી હતી, જે તેની સફળતા દર્શાવે છે.
વીર નર્મદ યુનિવર્સિટીનો 52મો યુવક મહોત્સવ શરૂ:પ્રથમ દિવસે મિમિક્રી સ્પર્ધાના પરિણામો જાહેર
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU), સુરત દ્વારા 52મા રાણી અબ્બક્કાદેવી યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કુલપતિ ડો. કિશોરસિંહ એન. ચાવડાની અધ્યક્ષતામાં આ મહોત્સવ 20 થી 23 ડિસેમ્બર 2025 સુધી ચાર દિવસ ચાલશે. આજે મહોત્સવનો પ્રથમ દિવસ હતો, જેમાં વિવિધ સ્પર્ધાઓનો પ્રારંભ થયો. પ્રથમ દિવસે મિમિક્રી સ્પર્ધાનું આયોજન રંગમંચ 04, માનવ સંસાધન વિભાગ ખાતે બપોરે 12 કલાકે થયું હતું. આ સ્પર્ધામાં કુલ 11 કોલેજોના 11 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 10 કોલેજોના 7 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મિમિક્રી સ્પર્ધાના પરિણામો નીચે મુજબ છે: પ્રથમ ક્રમ: કાવા દિવ્યતા રાજેશભાઈ (એસ.ડી. જૈન કોલેજ, વેસુ, સુરત). બીજો ક્રમ: બલદાણિયા ભાર્ગવ અશોકભાઈ (આર્ટ્સ, સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ, ખોલવાડ). ત્રીજો ક્રમ: દ્વિવેદી આમા વિષ્ણુકુમાર (એસ.ડી. જૈન કોલેજ, પલસાણા).
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા આયોજિત 52મા અબ્બક્કાદેવી યુવા મહોત્સવમાં પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગની વિદ્યાર્થીની કહાની શાહે વક્તૃત્વ સ્પર્ધામાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે. આ ચાર-દિવસીય મહોત્સવ 20 ડિસેમ્બર 2025 થી 23 ડિસેમ્બર 2025 દરમિયાન યોજાઈ રહ્યો છે. ગુજરાત રાજ્ય સરકારના મંત્રી ડો. જયરામભાઈ ગામીત મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોરસિંહ એન. ચાવડાની અધ્યક્ષતામાં આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રજીસ્ટ્રાર ડો. રમેશદાન ગઢવી અને યુવક કલ્યાણ તથા શારીરિક શિક્ષણ વિભાગના વડા શ્રી ડો. યોગેશભાઈ વાસીયા નિમંત્રક તરીકે સેવા આપી રહ્યા છે. મહોત્સવના પ્રથમ દિવસે કુલ બાર જેટલી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. તેમાં રંગમંચ ત્રણ અંગ્રેજી વિભાગમાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં યુનિવર્સિટીના વિભાગો અને કોલેજોમાંથી કુલ 121 એન્ટ્રીઓ આવી હતી, જેમાં 74 કોલેજોના 94 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વક્તૃત્વ સ્પર્ધાના અંતિમ પરિણામો ગઈકાલે મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યા હતા. બી.એ. જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનના સેમેસ્ટર 06માં અભ્યાસ કરતી કહાની શાહે 'ગુજરાતની ગૌરવ ગાથા' વિષય પર રમુજ અને કટાક્ષભર્યું વક્તવ્ય આપીને નિર્ણાયકો અને શ્રોતાઓને પ્રભાવિત કર્યા હતા.
રાણી અબ્બક્કાદેવી 52મા યુવા મહોત્સવનો આરંભ:વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આજથી શરૂ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત દ્વારા ૫૨મા રાણી અબ્બક્કાદેવી યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ચાર દિવસીય આ મહોત્સવનો પ્રારંભ 20 ડિસેમ્બર, 2025ના રોજ થયો હતો અને તે 23 ડિસેમ્બર, 2025 સુધી ચાલશે. ગુજરાત સરકારના મંત્રી ડો. જયરામભાઈ ગામીત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ યુવા મહોત્સવનું આયોજન યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોરસિંહ એન. ચાવડાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું છે. યુનિવર્સિટીના કુલ સચિવ ડો. રમેશદાન ગઢવી અને યુવક કલ્યાણ અને શારીરિક શિક્ષણ વિભાગના વડા ડો. યોગેશભાઈ વાસિયા નિમંત્રક છે. યુનિવર્સિટી વિસ્તારની કુલ 20 કોલેજોના 871 વિદ્યાર્થીઓએ આ મહોત્સવમાં ભાગ લીધો છે. મહોત્સવ દરમિયાન કુલ ૩૪ જેટલી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જે જુદા જુદા 8 રંગમંચો પર યોજાશે. સમગ્ર મહોત્સવના સુવ્યવસ્થિત અમલીકરણ માટે 19 સમિતિઓની રચના કરવામાં આવી છે. મહોત્સવના પ્રથમ દિવસે સવારે 8:00 વાગ્યે કુલપતિશ્રીએ શ્રીફળ વધેરીને રંગમંચ 1 (કન્વેન્શન હોલ)થી કળાયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ યાત્રા રંગમંચ 2 (પર્વમંચ) પર સમાપ્ત થઈ હતી. કળાયાત્રામાં યુનિવર્સિટીના વિવિધ વિભાગો અને 20 સંલગ્ન કોલેજોના 871થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ પ્રદર્શનીઓ અને ઝાંખીઓ સાથે ભાગ લીધો હતો. આ કળાયાત્રાને 1500થી વધુ વિદ્યાર્થીઓ, શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓએ નિહાળી હતી. કળાયાત્રા બાદ બપોરે 11:30 કલાકે રંગમંચ 2 (એમ્ફી થિયેટર) ખાતે યુવક મહોત્સવને ખુલ્લો મૂકવાની વિધિ હાથ ધરવામાં આવી હતી. સર્વપ્રથમ વિશ્વવિદ્યાલય ગીતનું ગાન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ મંચ પર બિરાજમાન મહાનુભાવો દ્વારા દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું. કુલસચિવશ્રીએ ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ મંત્રી ડો. જયરામભાઈ ગામીતે પ્રવચન આપ્યું હતું, જેમાં તેમણે પોતાના શિક્ષણકાળની યાદો તાજી કરી હતી. ત્યારબાદ યુનિવર્સિટીના કુલપતિએ વક્તવ્ય આપ્યું હતું અને વિધિવત રીતે યુવા મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો. અંતમાં ડો. યોગેશભાઈ વાસિયાએ ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો. કાર્યક્રમના સમાપ્તિએ કળાયાત્રામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર યુનિવર્સિટીના વિભાગો અને કોલેજોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી (COR) અને કડી સર્વ વિશ્વવિદ્યાલય (FOE) ના સંયુક્ત ઉપક્રમે 'સ્વયં પોર્ટલ પર MOOC ડેવલપમેન્ટ માટે શિક્ષકોને સશક્ત કરવા' વિષય પર પાંચ દિવસીય નેશનલ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ (FDP) યોજાયો હતો. આ કાર્યક્રમ 16 થી 20 ડિસેમ્બર, 2025 દરમિયાન ઉચ્ચ શિક્ષણમાં ડિજિટલ નવીનતાને પ્રોત્સાહન આપવાના હેતુથી સફળતાપૂર્વક સંપન્ન થયો. આ FDPનો મુખ્ય ઉદ્દેશ્ય અધ્યાપકોને સ્વયં પોર્ટલ પર મેસિવ ઓપન ઓનલાઈન કોર્સિસ (MOOCs) વિકસાવવા માટે જરૂરી શૈક્ષણિક અને ટેકનિકલ કુશળતાઓથી સજ્જ કરવાનો હતો. આનાથી ભારત સરકારના ડિજિટલ યુનિવર્સિટી બનાવવાની કલ્પનામાં યોગદાન આપી શકાય. આ કાર્યક્રમમાં ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓ, SCERT ગુડગાંવ, વિવિધ કોલેજો અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાંથી કુલ 40 ફેકલ્ટી સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પાંચ દિવસના આ કાર્યક્રમ દરમિયાન કુલ ૧૫ નિષ્ણાતો દ્વારા MOOC સંબંધિત વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતિ 2020 (NEP 2020) ના સંદર્ભમાં સ્વયં જેવી ડિજિટલ પહેલ શિક્ષણને વધુ સુલભ અને ગુણવત્તાયુક્ત બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. કાર્યક્રમ દરમિયાન બે દિવસ BISAG-N માં પણ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાગ લેનાર અધ્યાપકોએ આ કાર્યક્રમને અત્યંત ઉપયોગી, માર્ગદર્શક અને પ્રેરણાદાયક ગણાવ્યો હતો. તેમણે ભવિષ્યમાં પોતે પોતાના વિષયમાં MOOC કોર્સ વિકસાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. આ સમગ્ર કાર્યક્રમ FOE, KSV ના ડીન ડૉ. વીણાબેન પટેલ અને COR, CRU ના ડાયરેક્ટર ડૉ. સંજયભાઈ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ કોઓર્ડિનેટર ડૉ. હરિકૃષ્ણ પટેલ અને કુલદીપભાઈ પ્રજાપતિ દ્વારા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યો હતો.
ગોધરા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા રામસાગર તળાવ કિનારે ત્રિશૂળ દીક્ષા સમારોહ અને પદ સંચલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં છબનપુર રામજી મંદિરના મહંત ઇન્દ્રજીતજી મહારાજના હસ્તે જિલ્લાના 151 બજરંગી કાર્યકરોએ ત્રિશૂળ ગ્રહણ કર્યા હતા. આ પ્રસંગે દક્ષિણ ગુજરાત પ્રાંતના અધિકારી ડો. દીપક રાજ્યગુરુ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે પ્રાંતના હોદ્દેદારો મનુભાઈ ભગત, ઇમેશભાઈ અને દુર્ગાવાહિનીના મહિલા હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ ભારતમાતા, ભગવાન શ્રી રામચંદ્રજી અને હનુમાનજીની પ્રતિમાઓ સામે દીપ પ્રગટાવીને કરાયો હતો. મહંત ઇન્દ્રજીતજી મહારાજે 'જય શ્રીરામ', 'ભારત માતા કી જય' અને 'વંદેમાતરમ'ના નારાઓ સાથે દીક્ષાર્થીઓને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે ત્રિશૂળ માત્ર મૂકી રાખવાની વસ્તુ નથી, પરંતુ ધર્મ અને સમાજના હિતરક્ષણ માટે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરવાની ભાવના રાખવી જરૂરી છે. ડો. દીપક રાજ્યગુરુએ હિન્દુ વિચારધારાને જીવંત રાખનારી ઘર-ગૌ-ધારાને નમન કરી, કાર્યની જવાબદારી સંભાળનારા કાર્યકરોને વંદન કર્યા હતા. તેમણે જણાવ્યું કે ગોધરામાં સાત વર્ષ પછી આવો સમારોહ યોજાયો છે. તેમણે ઉમેર્યું કે દીક્ષાર્થીઓ માનસિક અને વૈચારિક રીતે વજ્રતા ધારણ કરશે, ત્યારે આ દીક્ષા સાચા અર્થમાં સાર્થક બનશે. તેમણે કહ્યું કે, 'આ ફક્ત ત્રિશૂળ નથી, પરંતુ કલ્યાણ, શક્તિ અને માતૃભૂમિના ત્રણ શૂળ છે – જે એક મોટી જવાબદારી છે.' ડો. દીપક રાજ્યગુરુએ વધુમાં જણાવ્યું કે ત્રિશૂળ એ માત્ર શક્તિ ગ્રહણ નથી, પરંતુ સ્વચ્છતાનું ગ્રહણ પણ જરૂરી છે. તેમણે રામસાગર તળાવની સ્વચ્છતા પર ભાર મૂક્યો અને કહ્યું કે, 'આ કાબા તળાવ નથી, રામસાગર છે, તેને સ્વચ્છ રાખવાની પણ આપણી જવાબદારી છે.' તેમણે ધર્મ જાગૃતિ માટે સનાતન પૂજા પદ્ધતિથી ભટકી ગયેલા લોકોને પુનઃ સનાતન વિચારધારામાં લાવવા અને મંદિરમાં સવાર-સાંજની આરતી સમયે સહપરિવાર જવાનો સંકલ્પ કરવા જણાવ્યું. તેમણે કહ્યું કે હિન્દુઓ અને સનાતનીઓએ તલવારના જોરે ધર્મ પરિવર્તન કરાવ્યા નથી, આ પરાવર્તનની વાત છે. તેમણે બજરંગદળની સ્થાપનાથી લઈને પહેલગામ દુર્ઘટના સુધીની વાત પણ કરી હતી. કાર્યક્રમના અંતે, તમામ દીક્ષાર્થીઓએ ગોધરા નગરના વિવિધ વિસ્તારોમાં પદ સંચલન કરીને ધર્મજાગૃતિનો સંદેશ આપ્યો હતો.
વિશ્વના સૌથી મોટા ધ્યાન કાર્યક્રમમાં જોડાઓ. ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી સાથે - 21 ડિસેમ્બર, સાંજે 8:30 વાગ્યે ગુરુદેવ ના ઓફિશિયલ YouTube ચેનલ પર. *નકારાત્મક ભાવનાઓ વાતાવરણમાં કેવી રીતે અટકી રહે છે* જ્યારે કોઈ દુઃખી હોય, ગુસ્સે હોય અથવા નકારાત્મકતા અનુભવે, ત્યારે તે વ્યક્તિ તેના આસપાસ એવા જ સ્પંદનો (વાઈબ્રેશન) ઉભી કરે છે. આ સ્પંદનો વાતાવરણમાં ચોંટીને રહી જાય છે. જો તમે આવી જગ્યા પર જાઓ, ભલે તે વ્યક્તિ ત્યાં ન હોય તો પણ, થોડા સમયમાં તમને પણ એવી જ ભાવનાઓ અનુભવાય છે. થોડા સમય પહેલા તમે સારું અનુભવી રહ્યાં હતા, પરંતુ એ રૂમમાં પ્રવેશતા જ અચાનક તણાવ, ગુસ્સો અને ચીડિયાપણું અનુભવાય. *શું આ આપણો અનુભવ નથી?* કોઈને પણ આવું લાગવું ગમતું નથી, છતાં ક્યારેક આપણે નકારાત્મકતા અથવા તણાવ અનુભવીએ જ છીએ. *તો આને કેવી રીતે સંભાળવું?* ક્યાંક આપણે એક ખૂબ જ મહત્ત્વના સિદ્ધાંતને જાણતા નથી એક એવું સિદ્ધાંત, જે આપણા મન, ભાવનાઓ અને સમગ્ર જીવનને સંચાલિત કરે છે. આનંદ આપણા મધ્યમાં છે, અને નકારાત્મકતા માત્ર બહારના સ્તર પર. આપણા શરીર પાસે આનંદ અને શાંતિના સ્પંદનોને લાંબા સમય સુધી સાચવી રાખવાની ક્ષમતા છે કારણ કે સકારાત્મકતા આપણા અસ્તિત્વના કેન્દ્રમાં છે. જેવા પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે અને ઈલેક્ટ્રોન માત્ર બહારની પરિઘમાં હોય છે, તેવી જ રીતે આપણા જીવનમાં પણ છે. આપણા અસ્તિત્વના કેન્દ્રમાં આનંદ અને ઉજાસ છે, પરંતુ બહારનું સ્તર નકારાત્મક ભાવનાઓનું વલણ આવરી લે છે. શ્વાસ અને ધ્યાનની મદદથી આ નકારાત્મક વાદળને સરળતાથી દૂર કરી શકાય છે. *નકારાત્મક ભાવનાઓને સકારાત્મક બનાવવા માટે ધ્યાન જ માર્ગ છે.* સૌપ્રથમ, નકારાત્મકતા સ્વીકારો. તમારા મનમાં આવતી નકારાત્મક ભાવનાઓને સ્વીકારી લો. જેને આપણે દૂર ધકેલવા પ્રયાસ કરીએ છીએ તે વધુ ઝડપથી પાછું આવે છે. એને દબાવતા રહીએ તો તે ભૂતની જેમ પીછો કરે છે. એને સ્વીકારી લો… એને ‘આલિંગન’ આપો અને જુઓ કે તે ક્ષણમાં ગાયબ થઈ જાય છે. જે ક્ષણે તમે એને સ્વીકારો છો, તે માત્ર ધૂંધળી, નબળી (dim) ઊર્જા બનીને અદૃશ્ય થઈ જાય છે. મનને “નકારાત્મક ન વિચાર” આવું કહેવાનું ઉપયોગી નથી. ધ્યાન અને શ્વાસની ક્રિયાઓ એ જ સાધનો છે જે મનને શાંત કરે છે અને અંદરથી આનંદ જગાડે છે. ધ્યાન આત્માનો આહાર છે.
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલગ્રામ નજીક એક વાડીમાં દીપડાના હુમલામાં 5 વર્ષના બાળકનું મોત થયું છે. આ ઘટના બાવચંદ વાઘેલાની વાડીમાં બની હતી, જ્યાં દાહોદ જિલ્લાના વતની સાહિલ રાકેશભાઈ કટારા (ઉ.5) પર હુમલો થયો હતો. તુવેરની દાળમાંથી અચાનક દીપડો બહાર આવ્યો અને બાળકને પકડીને શિકાર કરવા લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બુમાબુમ થતાં દીપડાએ બાળકને છોડી દીધું હતું. ગંભીર ઇજાઓ થતાં બાળકને તાત્કાલિક ચલાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. માનવ મૃત્યુની જાણ થતાં વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. વનવિભાગ દ્વારા વિસ્તારમાં સ્કેનિંગની કામગીરી અને લોકેશન લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ હુમલાની ઘટના અંગે અલગ-અલગ નિવેદનો સામે આવ્યા છે. મૃતકના પિતા રાકેશ કટારા અને વાડી માલિક બાવચંદ વાઘેલા બંનેએ જણાવ્યું હતું કે, એક સિંહણ બાળકને ઉપાડી ગઈ હતી. તેઓના હાકલા-પડકારા બાદ સિંહણ બાળકને તુવેરના ઘેરામાં મૂકીને જતી રહી હતી. જોકે, ધારી ગીર પૂર્વ ડિવિઝનના ઇન્ચાર્જ એસીએફ પ્રતાપ ચાંદુએ જણાવ્યું હતું કે, તેમની ટીમને ઘટનાસ્થળેથી દીપડાના પગના નિશાન મળ્યા છે. તેમણે પુષ્ટિ કરી કે હુમલો દીપડા દ્વારા થયો છે.
ધ બ્રાઇટ સ્કૂલ, વાસણા યુનિટ દ્વારા તેના સિલ્વર જ્યુબિલી વર્ષની ઉજવણીના ભાગરૂપે ધોરણ 1 થી 4ના વિદ્યાર્થીઓ માટે વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. 'સપનો કી ઉડાન' થીમ પર આધારિત આ કાર્યક્રમ 20મી ડિસેમ્બર, 2025ના રોજ શાળાના 'કુસુમ મેમોરિયલ ઑડિટોરિયમ' ખાતે યોજાયો હતો. આ થીમ શાળાની છેલ્લા ૨૫ વર્ષની બાળકોના ભવિષ્ય ઘડવાની અને તેમના સપનાઓને પાંખ આપવાની યાત્રાને પ્રતિબિંબિત કરે છે. આ પ્રસંગે સ્કૂલના પ્રમુખ સૌમિલ શાહ ઉપસ્થિત રહ્યા હતા, જેમનું માર્ગદર્શન શાળા સમુદાય માટે પ્રેરણારૂપ રહ્યું છે. ધ બ્રાઇટ સ્કૂલની વિવિધ યુનિટોના પ્રિન્સિપાલ અને માનનીય મહેમાન સુશ્રી સુહાની શાહની હાજરીએ સમારોહને વિશેષ ગરિમા પ્રદાન કરી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ મંચ પર વિવિધ કારકિર્દીઓ જેવી કે ઇજનેર, ડૉક્ટર, નર્સ, વૈજ્ઞાનિક, ફાયર ફાઇટર, રમતવીર, પર્યાવરણપ્રેમી અને ડિફેન્સ ક્ષેત્ર વિશે પોતાની આકાંક્ષાઓ દર્શાવતી રજૂઆતો કરી હતી. આ રજૂઆતોમાં વિદ્યાર્થીઓમાં વર્ગખંડના શિક્ષણ અને શાળાના અનુભવો દ્વારા વિકસતો આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા અને મહત્ત્વાકાંક્ષા સ્પષ્ટપણે જોવા મળ્યા હતા. શાળાના પ્રિન્સિપાલ માલા પટેલે પોતાના ઉદ્દબોધનમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન પ્રાપ્ત થયેલી મુખ્ય સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે શાળાના મેનેજમેન્ટ, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓના સતત સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતિમ તબક્કામાં વિદ્યાર્થીઓએ શિક્ષકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો અને સુંદર નૃત્ય રજૂ કરીને શાળાના સ્થાપક સ્વ. શ્રી જયેન્દ્ર શાહ સાહેબને યાદ કર્યા હતા. તેમણે શિક્ષણ ક્ષેત્રે તેમના મૂલ્યવાન વારસાને આગળ વધારવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો. વાલીઓએ પોતાના બાળકોને આત્મવિશ્વાસ અને ઉત્સાહ સાથે પ્રદર્શન કરતા જોઈ ગર્વની લાગણી અનુભવી હતી. આ વાર્ષિકોત્સવ શાળાની સિલ્વર જ્યુબિલી યાત્રાની ભાવનાને સુંદર રીતે પ્રતિબિંબિત કરતો સમગ્ર શાળા પરિવાર માટે ગૌરવપૂર્ણ અને સ્મરણીય ઉજવણી બની રહ્યો.
આવલી સોસાયટી કમિટી દ્વારા નિઃશુલ્ક હેલ્થ કેમ્પનું આયોજન:120 નિવાસીઓએ સુગર, બીપી સહિતની તપાસ કરાવી
આવલી સોસાયટી કમિટી દ્વારા ચાંદખેડા અર્બન હેલ્થ સેન્ટર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી સોસાયટીના નિવાસીઓ માટે એક નિઃશુલ્ક હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 120 સોસાયટીના નિવાસીઓએ ભાગ લીધો હતો, જેમાં યુવાનો, સિનિયર સિટીઝન, મહિલાઓ, પુરુષો અને બાળકોનો સમાવેશ થાય છે. સૌએ આ આરોગ્યલક્ષી સેવા કેમ્પને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો. આ કેમ્પમાં સુગર, બ્લડ પ્રેશર અને હિમોગ્લોબિન જેવી તપાસ કરવામાં આવી હતી. બાળકો માટે ખાસ બાળરોગ નિષ્ણાત દ્વારા ચેકઅપ અને જરૂરી દવાઓ પણ પૂરી પાડવામાં આવી હતી. સોસાયટીના નિવાસીઓએ આવા સેવા કાર્યોના આયોજન બદલ કમિટી અને સહયોગી સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
રાજકોટ શહેરમાં રહેતી અને ધોરણ 6માં અભ્યાસ કરતી બાળકી સાથે દાદાની ઉંમરના 82 વર્ષના વિકૃત વૃદ્ધે જાહેરમાં મવડી ચોક ઓવરબ્રિજ નીચે શારીરિક અડપલાં કરતા હોવાનો વિડીયો વાયરલ થતા તાત્કાલિક અસરથી પોલીસે બાળકીના પરિવાર ણ વૃદ્ધને શોધી બાળકીના પિતાની ફરિયાદ પરથી BNS કલમ 75 અને પોક્સો એક્ટની કલમ 8 મુજબ ગુનો નોંધી આરોપી વિરમભાઇ બરારીયા (ઉ.વ.82)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસમાં આરોપી વૃદ્ધ દ્વારા અગાઉ પણ બાળકી સાથે શારીરિક અડપલાં કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેર એસીપી આર.એસ.બારીઆએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં જાહેર રસ્તા પર પૌત્રીની ઉંમરની કિશોરી સાથે એક વૃદ્ધ શારીરિક અડપલાં કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થવા પામ્યો હતો જેની તપાસ કરતા વિડીયો 150 ફૂટ રિંગ રોડ પર મવડી ચોક નજીક ઓવરબ્રિજ નીચેનો હોવાનું સામે આવ્યું હતું આ પછી વૃદ્ધ અને બાળકી અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં પોલીસે તાત્કાલિક ગણતરીના કલાકોમાં જ વિકૃત માનસિકતા ધરાવતા 82 વર્ષીય વૃદ્ધને હસ્તગત કરી પુછપરછ કરતા પોતે તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લાભદીપ સોસાયટીમાં રહેતા વિરમભાઇ બરારીયા (ઉ.વ.82) હોવાનું સામે આવ્યું હતું. આ પછી પોલીસે બાળકી અંગે તપાસ શરૂ કરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે વૃધ્ધના ઘર નજીક જ રહેતી બાળકી હતી પોલીસે બાળકી અને તેના પરિવારજનોનો સંપર્ક કરી તેની પુછપરછ કરી હતી અને તેની પુછપરછ કરતા બાળકીએ વૃધ્ધ દ્વારા ગઈકાલે એટલે કે શનિવારે અને ચાર પાંચ દિવસ અગાઉ પણ આ જ રીતે શારીરિક અડપલાં કર્યા હોવાનું જણાવ્યું હતું એટલું જ નહિ પોલીસ તપાસમાં આરોપી વિકૃત વૃદ્ધે બાળકીને ઘરે પણ શારીરિક અડપલાં કર્યા હોવાનું સામે આવતા બાળકીના પિતાની ફરિયાદ પરથી આરોપી વિરુધ્ધ BNSની કલમ 75 અને પોક્સો એક્ટની કલમ 8 મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ વિડીયો જે વાયરલ થયો તે ક્યારનો છે એ ચોક્કસ જાણી શકાયું નથી પરંતુ બાળકી ના કહેવા મુજબ ગઈકાલે અને ચાર પાંચ દિવસ પહેલા અડપલાં કર્યા હોવાથી પાછલા એક સપ્તાહની અંદરનો જ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. બાળકી સ્કૂલેથી છૂટી અને પોતાના ઘરે જઈ રહી હતી આ દરમિયાન બાળકીને મવડી ચોક નજીક બ્રિજ નીચે પાર્ક કરાયેલ ગાડીની પાછળ વિકૃત હરકત કરી શારીરિક અડપલાં કર્યા હતા જો કે કોઈ રાહદારી જોઈ જતા વિડીયો બનાવી લેતા વિકૃત વૃધ્ધના પાપનો ઘડો ફૂટી ગયો છે. ઉલ્લેખનીય છે કે બાળકીના પિતા મજૂરી કામ કરે છે અને ભાડાના મકાનમાં પરિવાર રહે છે. બાળકીની ઉંમર 13 વર્ષની હોવાનું અને ધોરણ 6માં અભ્યાસ કરતી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીને ઝડપી પાડી કોર્ટમાં રજુ કરવામાં આવશે અને આ પછી બાળકીનું પણ મહિલા અધિકારીની હાજરીમાં નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જો કે ગઈકાલે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા વિકૃત વૃદ્ધ ઉપર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.
પાટણ પ્રજાપતિ સમાજ દ્વારા મેડિકલ કેમ્પ:પદ્મનાભ ક્લિનિક ખાતે દર્દીઓનું નિદાન કરાયું
પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્વારા પદ્મનાભ ક્લિનિક ખાતે સર્વજ્ઞાતિ માટે એક સાર્વજનિક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓએ પોતાના આરોગ્યનું નિદાન કરાવી લાભ લીધો હતો. શનિવારના રોજ યોજાયેલા આ કેમ્પમાં પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્વારા તમામ જ્ઞાતિના લોકોને રાહત દરે તબીબી તપાસ અને નિદાનની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. આ આયોજનનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ પરિવારોને આરોગ્ય સેવાઓ સુલભ બનાવવાનો હતો. કેમ્પમાં ડૉ. ગોવિંદ વી. પ્રજાપતિ (M.D.) અને ડૉ. નેન્સી વી. પ્રજાપતિ (B.H.M.S.)એ ઉપસ્થિત રહી દર્દીઓની તપાસ કરી હતી. તેમણે રિપોર્ટ્સના આધારે સચોટ નિદાન પૂરું પાડ્યું હતું, જેથી દર્દીઓને યોગ્ય સારવાર મળી શકે. આ મેડિકલ કેમ્પનો લાભ લેનાર જરૂરિયાતમંદ દર્દીઓએ પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના આયોજનની સરાહના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આવા કેમ્પથી સામાન્ય અને ગરીબ વર્ગના લોકોને મોટો ફાયદો થાય છે. આ સાર્વજનિક મેડિકલ કેમ્પને સફળ બનાવવા માટે જ્ઞાતિ સમાજના પ્રમુખ, મંત્રી સહિતના સભ્યોએ સક્રિય સહયોગ આપ્યો હતો. તેમના પ્રયાસોથી આ સેવાભાવી કાર્ય સુપેરે પાર પડ્યું હતું.
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આર.સી. કોલેજ ઓફ કોમર્સની વિદ્યાર્થી પ્રતિનિધિ સભા દ્વારા શાહીબાગ ખાતે આવેલા સરદાર પટેલ સ્મારક મ્યુઝિયમની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાતમાં કોલેજના વિવિધ સેમેસ્ટરના 56 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં શાહીબાગ ખાતેના શહીદ સ્મારકની મુલાકાત લેવામાં આવી હતી, જ્યાં શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. પ્રા. પરિમલ ઉપાધ્યાયે વિદ્યાર્થીઓને શહીદોના યોગદાન વિશે માહિતી આપી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ સરદાર પટેલ સ્મારક ભવનની મુલાકાત લીધી હતી અને સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પહાર પહેરાવી આભાર વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓએ સરદાર પટેલના વ્યક્તિત્વ પર આધારિત મ્યુઝિયમનો અભ્યાસ કર્યો, જેમાં ઐતિહાસિક પ્રદર્શનો, મૂલ્યવાન દસ્તાવેજો, દુર્લભ તસવીરો અને ડિજિટલ ગેલેરીનો સમાવેશ થાય છે. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનપ્રસંગો, સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમનું યોગદાન, રાષ્ટ્રની એકતા માટેના પ્રયત્નો અને ભારતના એકીકરણમાં તેમની ઐતિહાસિક ભૂમિકા વિશે વિસ્તૃત સમજ મેળવી. તેમણે સરદાર પટેલના વ્યક્તિત્વ અને વિચારધારા પર આધારિત ૨૦ મિનિટની ડોક્યુમેન્ટરી પણ નિહાળી, જેનાથી દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતા પ્રત્યેની તેમની સમજ વધુ મજબૂત બની. આ પ્રસંગે ઉપસ્થિત વિદ્યાર્થી પ્રતિનિધિ સભાના અધ્યક્ષે જણાવ્યું હતું કે, આવી શૈક્ષણિક મુલાકાતો દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય નેતાઓ પ્રત્યે ગૌરવની લાગણી વિકસે છે અને મૂલ્યનિષ્ઠા, નેતૃત્વ તથા જવાબદારીનો સંદેશ પ્રાપ્ત થાય છે. કાર્યક્રમમાં સહભાગી થયેલા વિદ્યાર્થીઓએ પોતાના અનુભવમાં જણાવ્યું હતું કે આ મુલાકાત ખૂબ જ યાદગાર બની રહેશે. આ મુલાકાત દ્વારા તેઓ સરદાર સાહેબને વધુ નજીકથી જાણી શક્યા અને તેમના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈ દેશસેવાના ગુણો શીખ્યા. ભવિષ્યમાં પણ આવી પ્રેરણાત્મક પ્રવૃત્તિઓનું આયોજન થાય તેવી ઈચ્છા તેમણે વ્યક્ત કરી.
પાલનપુરમાં ગતરાત્રે બે યુવકો પર 10થી વઘુ લોકોના ટોળાએ તલવાર સહિતના હથિયારોથી હુમલો કર્યો હતો. જેમાં એક યુવકનું મોત થયું છે. જ્યારે અન્ય એક યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમાજના યુવકનું મોત થતાં ચૌધરી સમાજમાં ભારે રૌષ ભભૂક્યો છે. સમાજના લોકો હોસ્પિટમાં ઉમટી પડ્યા હતા અને જ્યા સુધી આરોપી ઝડપાઈ નહીં ત્યા સુધી લાશ સ્વિકારવાનો ઈન્કાર કર્યો હતો. બીજી તરફ આ સમગ્ર મામલે 24 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે આરોપીને ઝડપવા માટે વિવિધ 8 ટીમો બનાવી છે. ગુનેગાર નહીં ઝડપાઈ ત્યાં સુધી અમે લાશ ઘેર નહીં લઈ જઈએઃ મૃતકનો ભાઈમૃતકના ભાઈ કિરણ ચૌધરીએ જણાવ્યું હતું કે, એ ભરતભાઈ મારા મામાનો દીકરો થાય છે. પહેલા યુપી-બિહારમાં જેવી સ્થિતિ હતી એનાથી પણ બદતર સ્થિતિ હાલ ગુજરાતમાં છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જ નથી. એવો તો કોઈને અધિકાર આપ્યો નથી કે તમે કોઈનો જીવ લઈ શકો? આજે મારો ભાઈ ગયો છે, કાલે બીજાનો ભાઈ જશે. તો આવું તો કોઈ કાળે ચલાવી લેવામાં ન આવે. જ્યાં સુધી એ ગુનેગારની ધરપકડ નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે સિવિલમાંથી લાશ ઘેર લઈ જવાના નથી. હું અહીંયા ઉપવાસ ઉપર બેસવાનો છું. આરોપીને હાજર કરો. બાકી લાશ અહીંથી લેવામાં નહીં આવે. અન્ય ગુનેગારોમાં પણ દાખલો બેસી શકે એવી કડક સજા કરોવધુમાં જણાવ્યું કે, સ્પેશિયલ SITની રચના કરવામાં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવો . બીજા 10 ગુનેગારોને ખબર પડવી જોઈએ એવી કડકમાં કડક સજા કરો, દાખલારૂપ ન્યાય બેસાડો. મૃતક એક 30-32 વર્ષનો યુવાન એની ઘરે નાની 7 મહિનાની છોકરી છે. તલવારો, પાઈપો અને લાકડીઓથી હુમલો કર્યોંઆ અંગે સામાજિક આગેવાન જયેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે રામદેવ હોટલ, અમદાવાદ હાઈવે ઉપર, અમારા બંને ભાઈઓ ગાદલવાડા ગામના નીતિન અને ભરતભાઈ, એ બંને ભાઈઓ ત્યાં બેઠા હતા અને પાલનપુરના અથવા કોઈ પણ વિસ્તારના કોઈ અસામાજિક તત્વો, 3 થી 4 ગાડી ભરી અને તલવારો, પાઈપો અને લાકડીઓ લઈ અને એમના ઉપર અચાનક હુમલો કરી દીધો હતો. જે બાદ તે લોકો ત્યાંથી ભાગી નીકળ્યા. વધુમાં જણાવ્યું કે, આ ઘટના બાદ બંને ભાઈઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ત્યાં ભરતભાઈનું રાત્રે અવસાન થયું છે. આ એક ખૂબ ગંભીર બાબત છે. સમગ્ર ચૌધરી સમાજ આ ઘટનાને એકદમ વખોડી કાઢે છે. કોઈપણ ભોગે આરોપીને છોડવામાં આવશે નહીં, બક્ષવામાં આવશે નહીં. તાત્કાલિક ધોરણે કાર્યવાહી ચાલુ કરી અને આ સમગ્ર ઘટનામાં જે જે પણ સંડોવાયેલા છે, એ તમામની ધરપકડ કરવામાં આવે અને એમના વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરવામાં આવે. શું છે સમગ્ર મામલો?પ્રાથમિક માહિતી મુજબ, ગઈકાલે સાંજે ગાદલવાડાના બે ભાઈઓ અમદાવાદ હાઈવે પર આવેલી એક હોટલ પાસે ત્યાં બેઠા હતા. તે દરમિયાન 3થી 4 ગાડીમાં આવેલા 10થી વધુ વ્યક્તિઓએ તલવારો, પાઈપો અને લાકડીઓ લઈ એમના ઉપર અચાનક હુમલો કરી દીધો હતો. જે બાદ તે લોકો ત્યાંથી ભાગી નીકળ્યા હતા. ચૌધરી સમાજ દ્વારા આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવાની માંગ કરવામાં આવી છે. પોલીસે આ સમગ્ર ઘટનાની તપાસ માટે આઠ ટીમો બનાવીઆ હુમલામાં એક યુવકનું મોત થયું હતું. જ્યારે એક યુવક ઈજાગ્રસ્ત છે. બનાસકાંઠા પોલીસે આ સમગ્ર ઘટનાની તપાસ માટે આઠ અલગ-અલગ ટીમોની રચના કરી છે. આ ટીમોમાં સાયબર ક્રાઈમ, એલસીબી, પાલનપુર પશ્ચિમ, પાલનપુર પૂર્વ, પાલનપુર તાલુકા, ગઢ અને છાપી પોલીસ સ્ટેશનનો સ્ટાફ સામેલ છે. કેટલાક આરોપીઓને રાઉન્ડઅપ કર્યાંપોલીસે કેટલાક આરોપીઓની ઓળખ કરીને તેમને રાઉન્ડઅપ કર્યા છે. ઇજાગ્રસ્તનું નિવેદન લેવાની કાર્યવાહી પણ ચાલી રહી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ માનવીય અને ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહી છે. બનાસકાંઠા પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોને ઝડપી અને યોગ્ય ન્યાય મળે તથા તમામ આરોપીઓ પકડાઈ જાય તે દિશામાં સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. મૃતકના પરિવારને ન્યાય મળે તે માટે પોલીસ કાર્યરતDYSPએ જણાવ્યું હતું કે,અલગ અલગ હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે, ટેકનિકલ ઈન્ટેલિજન્સના આધારે આરોપીઓને પકડવાની કાર્યવાહી ચાલુ છે. આ અન્વયે કોઈ બીજા પગલા લેવાના થશે તો તે પગલા પણ લેવાશે. મૃતકના પરિવારજનોને સાથે રાખીને અને તેઓને ન્યાય મળે તે માટે બનાસકાંઠા પોલીસ હાલમાં કાર્યરત છે. ઘટનાસ્થળ પર સીસીટીવી નથી પરંતું ટેકનિકલ ટીમ આસપાસના વિસ્તારોનું રૂટ મેપિંગ કરીને સીસીટીવી ફૂટેજ એકત્રિત કરી રહી છે, જેથી આરોપીઓની હિલચાલ જાણી શકાય. હાલમાં 24 જેટલા લોકો વિરુદ્ધમાં ફરિયાદ લેવામાં આવી છે.
સિલ્વર ઓક યુનિવર્સિટી, અદાણી સિમેન્ટ વચ્ચે MOU:વિદ્યાર્થી કૌશલ્ય વિકાસ માટે 'ફ્યુચર એક્સ' કાર્યક્રમ
સિલ્વર ઓક યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાથેના જોડાણને મજબૂત કરવાના હેતુથી અદાણી સિમેન્ટ સાથે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર ફ્યુચર એક્સ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીનો ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ સેલ ઉદ્યોગ અને શૈક્ષણિક જગત વચ્ચે મજબૂત સહયોગ સ્થાપિત કરવા સતત પ્રયત્નશીલ છે. આ MoU હસ્તાક્ષર પ્રસંગે અદાણી સિમેન્ટ તરફથી શ્રી સંદીપ સેઠી (હેડ – ઇન્ટિગ્રેશન તથા મુખ્ય કાર્યકારી અધિકારીની કચેરી) અને શ્રી અત્રી દવે (મુખ્ય કાર્યકારી અધિકારીની કચેરી) ઉપસ્થિત રહ્યા હતા. ફ્યુચર એક્સ કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ, લાઇવ પ્રોજેક્ટ્સ, ઉદ્યોગ નિષ્ણાતોનું માર્ગદર્શન અને પ્લાન્ટ મુલાકાત જેવી વિવિધ તકો પૂરી પાડવામાં આવશે. આનાથી તેમને ઉદ્યોગ આધારિત પ્રાયોગિક શિક્ષણ, આધુનિક ટેકનોલોજી અને વાસ્તવિક કાર્યપરિસ્થિતિનો સીધો અનુભવ મળશે. આ સહયોગ દ્વારા વિદ્યાર્થીઓની ટેકનિકલ અને વ્યાવસાયિક કુશળતામાં નોંધપાત્ર વધારો થશે. આ પ્રયાસો તેમને ભવિષ્યની કારકિર્દી માટે વધુ રોજગારક્ષમ બનાવશે અને તેમનો આત્મવિશ્વાસ પણ વધારશે.
કાંકરિયા સ્થિત દીવાન-બલ્લુભાઈ પૂર્વ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં 'Just Win...!' રમતોત્સવની ઉજવણી કરવામાં આવી. આ રમતોત્સવનો પ્રારંભ વિદ્યાર્થીઓ દ્વારા શ્લોક ગાનથી થયો હતો. નર્સરી, શિશુવર્ગ અને બાળવર્ગના નાના બાળકોએ મશાલની જ્યોતનું સન્માન કરીને પરેડ કરી હતી. બાળવર્ગના વિદ્યાર્થીઓએ યોગાસન અને ઝુમ્બા ડાન્સ રજૂ કરીને રમતોત્સવમાં ઉત્સાહ ભર્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય બિપીનચંદ્ર પંચાલ, ટ્રસ્ટી અરુણભાઈ ચતુર્વેદી, અતિથિ વિશેષ ઉષાબહેન ચતુર્વેદી, માધ્યમિક શાળાના આચાર્ય પ્રકાશભાઈ જાની અને બાલમંદિર વિભાગના કો-ઓર્ડીનેટર તાનીબહેન લાખીયા ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય બિપીનચંદ્ર પંચાલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. શાળાના આચાર્ય અને ટ્રસ્ટીએ પ્રાસંગિક ઉદ્બોધન કરીને બાળકોના જીવનમાં રમતગમતના મહત્વ પર ભાર મૂક્યો હતો. ત્યારબાદ ઉદ્ઘાટક દ્વારા ઘંટ વગાડીને રમતોત્સવનો વિધિવત પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. રમતોત્સવમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્સરી વિભાગ માટે ધ્વજારોહણ અને દડા ગોઠવવાની રમતો હતી. શિશુવર્ગ માટે સસલા દોડ અને લીંબુ ચમચીની રમતો યોજાઈ હતી, જ્યારે બાળવર્ગ માટે વિઘ્નદોડ અને કપકોનની રમતોનું આયોજન કરાયું હતું. રમતોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર નર્સરી, શિશુવર્ગ અને બાળવર્ગના બાળકોને અનુક્રમે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ તેમજ પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર રમતોત્સવને સફળ બનાવવા માટે ઇન્ચાર્જ શિક્ષિકાઓ અલ્પાબહેન સોલંકી, ભૂમિકાબહેન મહેતા, કલ્પનાબહેન ડોંગરે, નંદાબહેન મકવાણા, હિમાલીબહેન ત્રિવેદી, મિતાલીબહેન સરવૈયા અને અન્ય સર્વ શિક્ષિકાબહેનોએ સઘન પ્રયાસો કર્યા હતા. સંગીત શિક્ષક હર્ષદભાઈ પટેલે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું. આ રમતોત્સવમાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે શાળાના આચાર્ય અને સર્વ વિભાગીય કો-ઓર્ડીનેટર ઉપસ્થિત રહ્યા હતા. શાળાના ટ્રસ્ટી, આચાર્ય અને કાર્યકારી કો-ઓર્ડીનેટર પીનલબહેન રાવળે રમતોત્સવના સુંદર આયોજન બદલ શિક્ષકોનો આભાર માન્યો હતો.
રાહી ફાઉન્ડેશન દ્વારા વાસણામાં 800થી વધુ શ્રમજીવી પરિવારોને વેજીટેબલ ખીચડી અને મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું. આ 'ખીચડી વિતરણ પ્રોજેક્ટ'નો 206મો કાર્યક્રમ હતો.આ કાર્યક્રમ ભવાની વસાહત, ઝૂંપડા પુનઃ વસન આવાસ યોજના, વાસણા ખાતે યોજાયો હતો. જેમાં લાભાર્થીઓએ ખીચડી અને છાશનો લાભ લીધો હતો. આ કાર્યક્રમના સહયોગી કિરીટભાઈ નાથાલાલ શાહની યાદમાં તેમના પરિવાર - કીર્તિ કિરીટ શાહ, ક્રિષ્ના, ઈશા અને રાજુલા દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો.રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, નિહારિકા પરીખ, ભદ્રેશ પટેલ, શરદ જાદવ, માર્કણ્ડભાઈ અને વિજય દલાલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિતરણ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું.
કાગડાપીઠ SPC કેડેટ્સે સાયન્સ સિટીની મુલાકાત લીધી:માઇક્રોન કંપનીના સહયોગથી વિવિધ ગેલેરીઓ નિહાળી
કાગડાપીઠ પોલીસ સ્ટેશન હેઠળની દીવાન-બલ્લુભાઈ શાળા, કાંકરિયાના 27 જુનિયર અને 39 સિનિયર સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) વિદ્યાર્થીઓએ સાયન્સ સિટીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત માઇક્રોન કંપનીના સહયોગથી આયોજિત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ સાથે શાળાના CPO ચેતનાબહેન પટેલ, CPO મહેશભાઈ પટેલ અને DI રાકેશભાઈ પણ જોડાયા હતા. સવારે 9:30 કલાકે પોલીસ વિભાગની બસમાં પ્રવાસ શરૂ થયો હતો. સવારે 10:20 કલાકે વિદ્યાર્થીઓ સાયન્સ સિટી પહોંચ્યા, જ્યાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા બાદ તેઓ MICRON STEM LAB ગયા. STEM લેબ ઇન્ચાર્જ રણજીતભાઈએ વિદ્યાર્થીઓને SKY DANCER, HYDRO POWER, INFINITY MIRROR, LIGHT PLAY EXPLORER, MAGNETIC CRANE, CIRCUIT CARNIVAL, R.G.B, OPTICAL FIBRE જેવા વિવિધ સાધનો અને ઉપકરણોનો પરિચય આપ્યો. અહીં POWER PULLIES અને GEAR TRAIN ના મોડલ પણ પ્રદર્શિત કરાયા હતા. વિદ્યાર્થીઓએ MATERIAL RECOVERY FACILITY ના મોડેલનું નિરીક્ષણ કર્યું અને બલુનકારનું નિર્માણ જેવા પ્રાયોગિક પ્રયોગો કર્યા. લેબ ઇન્ચાર્જ દ્વારા ન્યુટનના નિયમો વિશે માહિતી આપવામાં આવી અને પ્રશ્નોત્તરી પણ યોજાઈ, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. ત્યારબાદ વિદ્યાર્થીઓએ એક્વેરિયમની મુલાકાત લીધી, જ્યાં બાળકોને આકર્ષે તેવું અનોખું વાતાવરણ બનાવવામાં આવ્યું હતું. એક્વેરિયમ પછી, વિદ્યાર્થીઓને એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સ ગેલેરીની મુલાકાત કરાવવામાં આવી. આ ગેલેરીમાં પ્રેઝન્ટ, ફ્યુચર અને ઇન્ડિયન ગેલેરી જેવા વિભાગોમાં વિદ્યાર્થીઓએ નવીન અને રસપ્રદ માહિતી મેળવી. તેમણે ધ મિલ્કી વે, માર્સ મિશન, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનનો ઇતિહાસ, સૂર્ય અને સૂર્યગ્રહણ વિશે જાણકારી પ્રાપ્ત કરી. અંતે, વિદ્યાર્થીઓએ રોબોટિક ગેલેરીની મુલાકાત લીધી, જ્યાં તેમણે વિવિધ પ્રકારના કાર્યકારી રોબોટ્સ નિહાળ્યા. આમાં રોબોટ સોકર જેવા રમત રમતા રોબોટ્સ, દૈનિક કાર્યો કરતા રોબોટ્સ, રાષ્ટ્રના સંરક્ષણ દળોને મદદ કરતા રોબોટ્સ, આપત્તિ વ્યવસ્થાપનમાં સહાય કરતા રોબોટ્સ અને તબીબી કાર્ય કરતા રોબોટ્સનો સમાવેશ થતો હતો. વિદ્યાર્થીઓએ આ રોબોટ્સ વિશે વિગતવાર માહિતી મેળવી.
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને 20 ડિસેમ્બર, 2025, શનિવારના રોજ દક્ષિણી થીમ પર વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. આ શણગાર પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી કરવામાં આવ્યો હતો. દાદાના સિંહાસન અને ગર્ભગૃહને દક્ષિણ ભારતીય મંદિરોની પરંપરા મુજબ કલાત્મક રીતે સજાવવામાં આવ્યું હતું. હનુમાનજી દાદાને એમ્બ્રોઇડરી વર્ક સાથેના મયૂરપંખની ડિઝાઈનવાળા આકર્ષક વાઘા ધરાવવામાં આવ્યા હતા. દાદાને ચાંદીનો મુગટ પહેરાવી, તાજા ગુલાબ અને શેવંતીના ફૂલોનો અદભૂત શણગાર કરવામાં આવ્યો હતો.આ પવિત્ર શનિવારે વહેલી સવારે 5:30 કલાકે મંગળા આરતી અને ત્યારબાદ સવારે 7:00 કલાકે કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી.મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર ધનુર્માસ તા.16 ડિસેમ્બર 2025 થી તા.14 જાન્યુઆરી 2026 દરમિયાન પારિવારિક શાંતિ અને વિશ્વ કલ્યાણ અર્થે હરિ મંદિરમાં “હનુમાન ચાલીસાના પાઠ” તેમજ “ૐ નમો હનુમતે ભયભંજનાય સુખમ્ કુરુ ફટ્ સ્વાહા” પાઠનો જપ યજ્ઞ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ જપ યજ્ઞ દરરોજ સવારે 7 થી 12 અને સાંજે 3 થી 6:30 કલાક દરમિયાન કરવામાં આવે છે.હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
સુરત શહેરના ઉધના વિસ્તારમાં ગુનાખોરીનો ગ્રાફ ફરી એકવાર ઊંચકાયો છે. અંગત અદાવતમાં પુત્રનો બદલો પિતા પાસેથી લેવાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઉધનાના અશોક સમ્રાટ નગરમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના વતની ધનરાજ તાયડે નામના આધેડની 4થી 5 હુમલાખોરોએ જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાખી છે. જૂની મારામારીની અદાવત રાખીને વિકી પર હુમલો કરવા આવ્યામળતી માહિતી મુજબ મૂળ મહારાષ્ટ્ર અને ઉધના વિસ્તારમાં રહેતા 50 વર્ષીય ધનરાજ ભીમરાવ તાયડે પરિવાર સાથે રહેતા હતા. આ લોહીયાળ ખેલ પાછળ જૂની અદાવત જવાબદાર છે. મુખ્ય આરોપી દીપક નગરાડે અને મૃતક ધનરાજભાઈના પુત્ર વિકી વચ્ચે થોડા સમય પહેલા ઉગ્ર મારામારી થઈ હતી. આ લડાઈનો બદલો લેવા માટે દીપક નગરાડે તેના સાગરીતો સાથે વિકી પર હુમલો કરવાના ઈરાદે આવ્યો હતો. વિકી જીવ બચાવીને ભાગ્યો પણ હુમલાખોરો પિતા પર ચપ્પુ લઈને તૂટી પડ્યાહુમલાના સમયે વિકી જીવ બચાવીને ભાગી છૂટ્યો હતો, પરંતુ કમનસીબે તેના પિતા ધનરાજ તાયડે હુમલાખોરોના હાથે ચડી ગયા હતા. પુત્ર ન મળતા ઉશ્કેરાયેલા દીપક અને તેના સાગરીતોએ આધેડ પિતા પર ચપ્પુ વડે તૂટી પડી તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. દિકરા વિક્કીની પાછળ દોડતા હુમલાખોરો સીસીટીવી કેદ થઈ ગયા છે. આરોપીઓનો આતંક અને સ્થાનિકોનો રોષસ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર મુખ્ય આરોપી દીપક ઉધના વિસ્તારમાં દારૂ અને ગાંજાના ગેરકાયદેસર ધંધા સાથે સંકળાયેલો છે. દીપક અને તેની ગેંગ અવારનવાર અશોક સમ્રાટ નગર અને આસપાસના વિસ્તારોમાં હથિયારો સાથે તરખાટ મચાવતા હોય છે, જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ છે. આ ઘટના બાદ મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પરિવારે માંગ કરી છે કે, આરોપીઓને કડકમાં કડક સજા થાય અને પોલીસ તેમનો જાહેરમાં 'વરઘોડો' કાઢી કાયદાનું ભાન કરાવે. પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીઓની તપાસ હાથ ધરીઆ ઘટનાની જાણ થતા જ ઉધના પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો દાખલ કર્યો છે. હાલમાં ફરાર થઈ ગયેલા દીપક નગરાડે અને તેના સાગરીતોને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.
આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાનો સશક્ત નારી મેળો શરૂ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત, વોકલ ફોર લોકલ અને મહિલા સશક્તિકરણના વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે આ મેળાનું આયોજન કરાયું છે. આણંદના પ્રમુખસ્વામી અર્બન કોમ્યુનિટી હોલ ખાતે મહેસૂલ રાજ્યમંત્રી અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી સંજયસિંહ મહિડા અને નાણાં રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલે આ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. મેળાનું ઉદ્ઘાટન કર્યા બાદ મંત્રીઓ અને અન્ય મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. તેમણે પ્રદર્શિત વસ્તુઓ વિશે માહિતી મેળવી હતી અને મહિલા કારીગરો સાથે સીધો સંવાદ કરીને તેમની હસ્તકલાને બિરદાવી હતી. પ્રભારી મંત્રી સંજયસિંહ મહિડાએ જણાવ્યું હતું કે, મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને તે સરકારની મુખ્ય પ્રાથમિકતા છે. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મહિલા સશક્તિકરણ માટે સખી મંડળનો પાયો નાખ્યો હતો, જે આજે બહેનોને રોજગારી પૂરી પાડી રહ્યું છે. આણંદના સશક્ત નારી મેળામાં 95 સ્ટોલ્સમાં હેન્ડમેડ જ્વેલરી, હેન્ડીક્રાફ્ટ આઈટમ, ઇમિટેશન જ્વેલરી, હેન્ડલૂમ, ઓર્ગેનિક હળદર પાવડર, ગાયના દૂધ આધારિત પ્રોડક્ટ્સ, મસાલા, નમકીન, મહેંદી આર્ટ, બેકરી આઈટમ, ખાખરા, નેચરલ સાબુ, તોરણ, ચોખાની પાપડી, સાડી, કાપડની બેગ, કૃષ્ણના વાઘા તથા પૂજાપાની સામગ્રી, આયુર્વેદિક આઈટમ, ડ્રેસ મટીરીયલ, એલોવેરા અને ઓર્ગેનિક પ્રોડક્ટ્સ, મિલેટ્સ વેલ્યુ એડિશન પ્રોડક્ટ્સ જેવી વિવિધ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ થઈ રહ્યું છે. 'વોકલ ફોર લોકલ' અને 'સ્વદેશી અપનાવો'ના મંત્રને ચરિતાર્થ કરતા આ આયોજનથી બહેનોને સીધું બજાર મળવાથી તેમની મહેનતનું સાચું વળતર મળશે. તેમણે જિલ્લાના નાગરિકોને મેળાની મુલાકાત લઈ સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરીને મહિલા કારીગરોને પ્રોત્સાહિત કરવા અપીલ કરી હતી. આ મેળો આગામી 23 ડિસેમ્બર સુધી દરરોજ સવારે 10 થી રાત્રે 10 કલાક સુધી નાગરિકો માટે ખુલ્લો રહેશે. આ પ્રદર્શન-કમ-વેચાણ મેળામાં કુલ 95 સ્ટોલ ઊભા કરાયા છે, જેમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારની મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલી હસ્તકલાની વસ્તુઓ, ઘરવપરાશની ચીજો અને શણગારની સામગ્રીનું પ્રદર્શન અને વેચાણ થઈ રહ્યું છે. નગરજનોને સીધા કારીગરો પાસેથી ખરીદી કરવાની તક મળશે.
વાપી RPFએ રેલવે કોપર વાયર ચોરીનો પર્દાફાશ કર્યો:6 આરોપીઓની ધરપકડ, ચોરાયેલો વાયર જપ્ત
વાપી રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ રેલવે કોપર વાયર ચોરીના કેસનો પર્દાફાશ કર્યો છે. આ મામલે કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 4 મુખ્ય આરોપીઓ અને 2 ભંગાર વેપારીઓનો સમાવેશ થાય છે. પશ્ચિમ રેલવેના મુંબઈ મંડળ હેઠળ વાપી RPF રેલવે સંપત્તિની ચોરી રોકવા માટે પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન મળેલી ગુપ્ત બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. RPF વાપીના ઇન્સ્પેક્ટર આશિષ તિવારી અને CIB સુરતના ઇન્સ્પેક્ટર અશોક કુમારના નેતૃત્વ હેઠળ એક વિશેષ ટીમ બનાવવામાં આવી હતી. 17 ડિસેમ્બર, 2025ના રોજ મળેલી માહિતીના આધારે ભિલાડ-સંજન વચ્ચે રેલવે ટ્રેક નજીક સઘન પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન ચાર શંકાસ્પદ વ્યક્તિઓને પકડવામાં આવ્યા હતા. તેમની પાસેથી રેલવે કોપર વાયર કાપવા માટે ઉપયોગમાં લેવાતી હેક્સા બ્લેડ મળી આવી હતી. પૂછપરછ દરમિયાન, આરોપીઓએ 11 ડિસેમ્બર, 2025ના રોજ રેલવે લોકેશન બોક્સમાંથી કોપર વાયર ચોરી કર્યાની કબૂલાત કરી હતી. તેમની સૂચના પરથી આશરે 4.5 મીટર ચોરાયેલો કોપર વાયર જપ્ત કરવામાં આવ્યો હતો. ચાર મુખ્ય આરોપીઓને સુરતની માનનીય અદાલતના આદેશ મુજબ ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યા છે. આ કાર્યવાહી દ્વારા RPF એ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે રેલવે સંપત્તિ રાષ્ટ્રની સંપત્તિ છે અને તેની ચોરી કે નુકસાન સહન કરવામાં આવશે નહીં. RPF એ નાગરિકોને અપીલ કરી છે કે કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ નજરે પડે તો તરત જ નજીકની RPF પોસ્ટને જાણ કરવી.
અમરેલીમાં સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ:1250 રમતવીરોએ ભાગ લીધો, રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ કરાવ્યો
અમરેલી શહેરના સરદાર પટેલ રમત-ગમત સંકુલ ખાતે સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ થયો છે. ઊર્જા, કાયદો અને ન્યાય રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના હસ્તે આ મહોત્સવ ખુલ્લો મુકાયો હતો. આ સ્પર્ધામાં જિલ્લાભરના 1250 જેટલા રમતવીરોએ ભાગ લીધો હતો. મહોત્સવમાં કોથળા દોડ, રસ્સા ખેંચ, ખો-ખો અને ચેસ જેવી વિવિધ વયજૂથની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાદાયી આહ્વાનથી દેશભરમાં સાંસદ ખેલ મહોત્સવ યોજાઈ રહ્યા છે. આનાથી ખેલાડીઓને પોતાની પ્રતિભા રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શિત કરવાની અમૂલ્ય તક મળે છે. તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાનના આહ્વાનને અનુસરીને દરેક સાંસદ દ્વારા ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાના રમતોત્સવો યોજવામાં આવી રહ્યા છે. આવા આયોજનથી ગ્રામ્ય વિસ્તારોના રમતવીરોને પણ પોતાની ક્ષમતા દર્શાવવાની તક મળી છે અને ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ના નારાને સશક્ત રીતે ઉજાગર કરવામાં મદદ મળી છે. ખેલ મહોત્સવ જેવી પ્રવૃત્તિઓથી યુવાઓમાં રમત-ગમત પ્રત્યે રુચિ વધે છે અને સ્વસ્થ સમાજની રચનામાં યોગદાન મળે છે. સાંસદ ભરત સુતરીયાએ જણાવ્યું હતું કે, આ રમતોત્સવ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનથી શરૂ કરાયો છે. તે ગ્રામ્ય સ્તરના રમતવીરોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચવા માટે પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની તક પૂરી પાડે છે. તેમણે આશા વ્યક્ત કરી કે આ મંચ પરથી ઊભરતા ખેલાડીઓ ભવિષ્યમાં રાજ્ય અને દેશનું નામ રોશન કરશે. કાર્યક્રમ દરમિયાન અગ્રણી અતુલભાઈ કાનાણીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ સાથે જ જિલ્લા કક્ષાના કન્વીનરોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેનાથી રમત-ગમતના વિકાસ માટે કાર્યરત સૌમાં ઉત્સાહનો વધારો થયો હતો. સાંસદ ખેલ મહોત્સવ જેવી પહેલો દ્વારા રમતવીરોને યોગ્ય માર્ગદર્શન, સ્પર્ધાત્મક અનુભવ અને પ્રોત્સાહન મળી રહ્યું છે, જે ભવિષ્યના ચેમ્પિયન ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ કાર્યક્રમમાં ધારી–બગસરા–ખાંભાના ધારાસભ્ય જે.વી. કાકડિયા, જિલ્લા વિકાસ અધિકારી પરીમલ પંડ્યા, પ્રાંત અધિકારી (અમરેલી–કુંકાવાવ) એમ.જે. નાકિયા, જિલ્લા રમત વિકાસ અધિકારી પૂમન ફૂમકીયા, અગ્રણી અતુલભાઈ કાનાણી, વિજયભાઈ ચોટલીયા, દિનેશભાઈ ભૂવા, કેતનભાઈ સોની અને દિવ્યેશભાઈ વેકરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
મહેસાણામાં 20 વર્ષથી ઓછી ઉંમરના કિસાનભારતી કોલેજના વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે-સાથે બાબારી સેવા ફાઉન્ડેશન, મહેસાણાના માધ્યમથી નિરાધાર અને ગરીબ લોકોની અનોખી સેવા કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ પોતાને ઘર ખર્ચ માટે મળતી રકમની બચતમાંથી અને સુખી સંપન્ન પરિવારના સહયોગથી ગરીબ અને નિરાધાર લોકોને ધાબળાનું વિતરણ કર્યું હતું. આ ફાઉન્ડેશનના યુવાન સભ્યોએ મહેસાણાના વિવિધ વિસ્તારોમાં જઈને આ જન સેવાનું કાર્ય કર્યું હતું. નિરાધાર લોકોને ઠંડીથી બચવા માટે ફ્રીમાં ધાબળા વિતરણશહેરના માનવ આશ્રમ ચોકડી, સોમનાથ ચોકડી, બિલાડી બાગ, ગાંધી શોપિંગ સેન્ટર, સિવિલ હોસ્પિટલ, જુના ડેપો, રેલ્વે સ્ટેશન, ફુવારા, તોરણવાળી ચોક, રાધનપુર ચોકડી, મોઢેરા ચોકડી અને નાગલપુર ચોકડી જેવી જગ્યાઓ પર નિરાધાર લોકોને ઠંડીથી બચાવવા માટે ધાબળા વહેંચ્યા હતા. દરરોજ નિરાધાર અને ગરીબ પરિવારોને ભોજન આપવાનું કાર્ય બાબારી સેવા ફાઉન્ડેશન દ્વારા દરરોજ નિરાધાર અને ગરીબ પરિવારોને ભોજન આપવાનું કાર્ય પણ કરવામાં આવી રહ્યું છે.ફાઉન્ડેશનના તમામ સભ્યો 20 વર્ષથી ઓછી ઉંમરના યુવા વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે આ માનવસેવાના કાર્યમાં જોડાયા છે. આ યુવાનો અલગ-અલગ વિસ્તારોમાં ગરીબ પરિવારોને ઘરે-ઘરે જઈને ભોજન પીરસે છે. આ ઉપરાંત રાધનપુર રોડ ઉપર આવેલ પાંજરાપોળમાં ગાયોને જાતે ઘાસચારો ખવડાવે છે. મિત્રોના જન્મ દિવસે વૃદ્ધાશ્રમમાં અને બહેરા-મૂંગા બાળકોની શાળામાં જઈને નાસ્તો વહેંચે છે. આ યુવાનોની પ્રવૃત્તિ સમાજ માટે પ્રેરણાદાયી બની છે. આ ઉપરાંત, કોઈપણ વ્યક્તિના જન્મદિવસ કે પરિવારના સભ્યની તિથિ પર બાબારી સેવા ફાઉન્ડેશનનો સંપર્ક કરવાથી તેઓ રસોઈયા પાસે ભોજન તૈયાર કરાવીને જાતે જમાડવાની સેવા પૂરી પાડે છે.
વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 8માં આવેલી 10 જેટલી સોસાયટીઓના રહીશોએ નર્મદા કેનાલ પાસેની ગંદકીના વિરોધમાં આમ આદમી પાર્ટી (AAP)ના વિરેન રામીની આગેવાનીમાં 'હલ્લાબોલ' કાર્યક્રમ યોજ્યો હતો. રહીશોએ વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ નિકાલ ન આવતાં તંત્રને જગાડવા માટે ઢોલ-નગારા વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વડોદરા શહેરના વોર્ડ નં. 8માં આવેલી લક્ષ્મીધામ સોસાયટી, નમ્રતા સોસાયટી, પરિસીમા સોસાયટી, અમર પાર્ક, કુંજ રેસીડેન્સી, જગન્નાથપુરમ સોસાયટી, કાશી વિશ્વનાથ સોસાયટી, સરસ્વતી સોસાયટી અને ઉમિયા નગર સોસાયટી જેવી સોસાયટીઓની બાજુમાંથી નર્મદા કેનાલ પસાર થાય છે. કેનાલની બાજુમાં ઓવરફ્લોને કારણે બારેમાસ ગટરના પાણીથી ગંદકી ફેલાઈ રહી છે. આ કારણે રાત્રે તીવ્ર દુર્ગંધ આવે છે અને મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. સ્થાનિક રહીશો રાત્રે બહાર બેસી શકતા નથી કે ઘરના દરવાજા પણ ખોલી શકતા નથી. વળી, કેનાલની આસપાસ ઝાડી-ઝાંખરા અને સફાઈના અભાવને કારણે ઝેરી સાપ અને અન્ય જીવજંતુઓ ઘરોમાં ઘૂસી જાય છે, જેનાથી રહીશો અને તેમના પરિવારોનું જીવન જોખમમાં મુકાઈ ગયું છે. રહીશોએ આ સમસ્યા અંગે ચૂંટાયેલા કોર્પોરેટરો અને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાને વારંવાર રજૂઆત કરી છે, પરંતુ આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. આથી, રહીશોએ AAPના વિરેન રામીની આગેવાનીમાં લક્ષ્મીધામ સોસાયટી, પંચવટી કેનાલ પાસે હનુમાનજીના મંદિરની ગલીમાં, ગોરવા વિસ્તારમાં 'હલ્લાબોલ' કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં તંત્રને જગાડવા માટે ઢોલ-નગારા વગાડવામાં આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં સુમિત વણઝારા, ભરતભાઈ, ધવલ પંચાલ, જલ્પન પંડ્યા, શૈલેષભાઈ ગોહિલ, વિજય ખીચી, ભાવેશ સોલંકી, બીમલ પાઠક, રિકેશ પટેલ, ઉરેશ વણઝારા, વિશાલ વણઝારા સહિત સોસાયટીઓના અનેક રહીશો મોટી સંખ્યામાં જોડાયા હતા. રહીશોએ જણાવ્યું કે, તંત્રની ઉદાસીનતાને કારણે તેઓને આ પગલું ભરવું પડ્યું છે અને તેઓ આ સમસ્યાના કાયમી નિકાલ માટે સંઘર્ષ ચાલુ રાખશે. જોકે તંત્ર તરફથી હજુ કોઈ પ્રતિસાદ મળ્યો નથી.
રામ રાખે તેને કોણ ચાખે. આ પંક્તિ વડોદરામાં સાચી ઠરી છે. વડોદરાના નંદેસરી બ્રિજ પર સર્જાયેલા એક વિચિત્ર અકસ્માતમાં 20 વર્ષીય યુવકનો ચમત્કારીક બચાવ થયો છે. બ્રિજ પરથી પસાર થઈ રહેલા મોપેડસવાર યુવકને અજાણ્યા વાહનના ચાલકે ટક્કર મારતા યુવક ઉછળીને બ્રિજની દિવાલ પર પડ્યો હતો. સદનસીબે યુવકનો શર્ટ બ્રિજ પરના વીજપોલમાં ફસાઈ જતા 20 ફૂટ ઊંચા બ્રિજ પર ટીંગાઈ ગયો હતો. આ જ સમયે અન્ય લોકોએ તેનો હાથ પકડીને ઉગારી લીધો હતો. દિલધડક રેસ્ક્યૂનો વીડિયો સામે આવ્યો છે. યુવકને સામાન્ય ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. અજાણ્યા વાહને ટક્કર મારતા ઉછળીને થાંભલામાં ટીંગાયોઆણંદના અડાસ ગામનો 20 વર્ષીય સિદ્ધરાજસિંહ મહિડા ઘરે કહ્યા વગર શનિવારે મોપેડ લઈ વડોદરા તરફ નીકળ્યો હતો. તે છૂટક કામ કરતો હોવાનું સંબંધી સરોજબેને કહ્યું હતું. નંદેસરી બ્રિજ પર સવારે 10:30 વાગ્યે વાહને પાછળથી ટક્કર મારી હતી. જેથી સિદ્ધરાજ ઉછળી બ્રિજ પરથી નીચે પટકાય તેવી સ્થિતિ થઈ હતી. સદનસીબ તેનો શર્ટ બ્રિજના થાંભલામાં ભરાતાં તે લટકી ગયો હતો. જોકે ઇજા પહોંચતાં તે બેહોશ થઈ ગયો હતો. 20 ફૂટ ઊંચા બ્રિજ પર શર્ટના સહારે ટીંગાઈ રહેલા યુવકનો લોકોએ બચાવ્યોઘટનાને પગલે બ્રિજ ઉપર લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને ભારે જહેમત બાદ રાહદારીઓએ યુવકને ઉપર ખેંચ્યો હતો અને વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી તે નીકળી ગયો હતો અને આણંદની હોસ્પિટલમાં દાખલ થયો હતો. ત્યારબાદ તેને વધુ સારવાર માટે વડોદરા નજીક આવેલી પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. નંદેસરી પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. બ્રિજ પર યુવકને લટકતા જોતા રાહદારીઓની મદદથી ઉગારી લીધો હતો- અશ્વીન સોલંકીસાંકરદા ગામના રહેવાસી અશ્વીન સોલંકીએ જણાવ્યું હતું કે, હું પિતા સાથે જતો હતો ત્યારે યુવકને બ્રિજ પર લટકતો જોયો હતો.તે બેહોશ હતો. હું તાત્કાલિક ત્યાં ગયો હતો અને યુવકને રાહદારીઓની મદદથી ઉપર ખેંચી લીધો હતો. તે પછી તેને 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત કઈ રીતે થયો તેની તપાસ ચાલુનંદેસરી પોલીસ સ્ટેશનના પી.આઈ એ એ વાઘેલાએ જણાવ્યું હતું કે, અકસ્માત અંગેની જાણ થતા અમારી ટીમ હોસ્પિટલમાં ગઈ હતી. અકસ્માત કેવી રીતે થયો આ મામલે અમે તપાસ કરી રહ્યા છીએ. જોકે પરિવાર પોલીસ ફરિયાદ કરવા માંગતો નથી.
થલતેજ વિસ્તારમાં પોલિટિકલ પાર્ટીના કાર્યાલયને જ તસ્કરોએ નિશાન બનાવ્યું છે. થલતેજમાં જીવનદીપ સર્કલ પાસે સ્વપ્ન એપાર્ટમેન્ટમાં આવેલા કોંગ્રેસના કાર્યાલયમાં તસ્કરોએ ઘૂસી હાથ સાફ કર્યો. કોંગ્રેસના કાર્યાલયના મુખ્ય દરવાજાનું લોક તોડી તસ્કરોએ કાર્યાલયમાં રાખેલી પંચધાતુની મૂર્તિ, મહત્વના દસ્તાવેજો અને ઇન્ડિયન ગેસની ભરેલી બોટલની ચોરી કરી ફરાર થઈ ગયા, જેને લઇને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તસ્કરોની તપાસ હાથ ધરવામાં આવી છે. કાર્યાલય પર પહોંચ્યા ત્યારે મુખ્ય દરવાજાનો લોક તૂટેલો જોવા મળ્યો હતો57 વર્ષીય મુકેશ પંચાલ નામના વ્યક્તિ થલતેજ વિસ્તારમાં આવેલું કોંગ્રેસનું કાર્યાલય ચલાવે છે. મુકેશ પંચાલ સવારના 10 વાગ્યાથી 11 વાગ્યા સુધી કોંગ્રેસ કાર્યાલયમાં બેસતા હોય છે. 19 તારીખે 11.30 વાગ્યાની આસપાસ મુકેશ પંચાલ થલતેજમાં જીવનદીપ સર્કલ પાસે આવેલ સ્વપ્ન એપાર્ટમેન્ટમાં કોંગ્રેસના કાર્યાલયને બંધ કરીને પોતાના ઘરે ગયા હતા. જે બાદ બીજા દિવસે કાર્યાલય પર પહોંચ્યા ત્યારે મુખ્ય દરવાજાનો લોક તૂટેલો જોવા મળ્યો હતો. જેથી, તરત જ પોલીસ કંટ્રોલમાં ફોન કરી સમગ્ર હકીકત જણાવી હતી. સામાન વેરવિખેર જોવા મળતા ચોરી થઈ હોવાની શંકા ગઈ હતીપોલીસ કંટ્રોલરૂમમાં ફોન કર્યા બાદ મુકેશ પંચાલ જ્યારે કાર્યાલયમાં પ્રવેશ કરે છે ત્યારે તમામ સામાન વેરવિખેર જોવા મળતા ચોરી થઈ હોવાની શંકા ગઈ હતી. કાર્યાલયમાં તપાસ કરતા ઓફિસના ટેબલનું ખાનું ખુલ્લું જોવા મળ્યું હતું. તેમજ ઓફિસમાં મંદિરમાં મૂકેલી પંચધાતુની મૂર્તિ પણ ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. તેમજ મહત્વના દસ્તાવેજ અને રસોડામાં રાખેલી ઇન્ડિયન ગેસની ભરેલી બોટલ પણ તસ્કરો ચોરી ગયા હોવાનું સામે આવ્યું હતું. અંદાજે 15,000 રૂપિયામાં સામાનની ચોરી થતા અણજાણ્યા તસ્કરો વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવે છે. પોલીસે ફરિયાદ નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.
ભરૂચ જિલ્લા જેલ ખાતે 21 ડિસેમ્બર, વર્લ્ડ મેડિટેશન ડે નિમિત્તે વિશેષ ધ્યાન સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત જેલ વિભાગના વડા ડો. કે.એલ.એન. રાવના માર્ગદર્શન હેઠળ વ્યક્તિ વિકાસ કેન્દ્ર, ઇન્ડિયા અને ધ આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા હર ઘર ધ્યાન અભિયાન અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો. આ સેશનમાં સંસ્થાના પ્રતિનિધિઓ ધનજી વસાવા અને ફાલ્ગુનીબેને જેલના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બંદીવાન ભાઈઓને ધ્યાનનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મેડિટેશન સેશન દરમિયાન માનસિક શાંતિ, એકાગ્રતા અને આત્મવિકાસ અંગે મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી, જેને જેલ સ્ટાફ અને બંદીવાનોએ ઉત્સાહપૂર્વક સ્વીકારી હતી. કાર્યક્રમના સમાપન પ્રસંગે જેલ અધિક્ષક એન.પી. રાઠોડે વ્યક્તિ વિકાસ કેન્દ્ર અને ધ આર્ટ ઓફ લિવિંગ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓ બંદીવાનોના સર્વાંગી વિકાસ માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે.

23 C