SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

32    C
... ...View News by News Source

મતદાર યાદી સુધારણા: મતદાન મથકો પર મતદારોની પાંખી હાજરી:BLO અને સહાયકો હાજર છતાં કામગીરી પર અસર; રવિવારના સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી હાજર રહેશે

રાજ્ય ચૂંટણી વિભાગ દ્વારા SIR હેઠળ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ચાલી રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત, મતદાન મથકો પર BLO (બૂથ લેવલ ઓફિસર) અને તેમના સહાયકો મતદારોને મદદ કરવા માટે કાર્યરત છે. જોકે, મતદાન મથકો પર મતદારોની હાજરી ઘણી ઓછી જોવા મળી રહી છે. સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર, પ્રાંતિજ, ઇડર અને ખેડબ્રહ્મા એમ ચાર વિધાનસભા બેઠકો પર કુલ 1282 મતદાન મથકો પર શનિવારે સવારે 9 વાગ્યાથી BLO અને તેમના સહાયકો ફરજ પર હાજર રહ્યા હતા. આ સહાયકોની મદદથી કામગીરી વધુ ઝડપી બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હિંમતનગરના માણેકકૃપા, બહુમાળી ભવન, પોલીસ હેડક્વાર્ટર નંદાનગર અને તાલુકા પ્રાથમિક શાળાના મતદાન મથકોની દિવ્યભાસ્કર ટીમે મુલાકાત લીધી હતી. આ સ્થળોએ BLO સાથે સહાયકો પણ મદદમાં જોવા મળ્યા હતા, પરંતુ મતદારોની સંખ્યા નહિવત્ હતી. બહુમાળી ભવન, પોલીસ હેડક્વાર્ટર અને તાલુકા પ્રાથમિક શાળાના મતદાન મથકો પર પણ એકલદોકલ મતદારો જ ફોર્મ લઈને આવ્યા હતા. મોટાભાગના મતદાન મથકોના વિસ્તારોમાં મતદારો સુધી ફોર્મ પહોંચી ગયા છે. જોકે, કેટલાક લોકો વિસ્તાર છોડીને અન્ય સ્થળે જતા રહ્યા છે. કર્મચારીઓ ઘરે ઘરે પહોંચ્યા હોવા છતાં, મતદારો ફોર્મ લઈને મતદાન મથકે આવતા નથી, જેના કારણે કામગીરીમાં અપેક્ષિત ગતિ જોવા મળી રહી નથી. 22 નવેમ્બર શનિવાર અને 23 નવેમ્બર રવિવારના રોજ સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી BLO, સહાયકો અને સ્થાનિક કર્મચારીઓની મદદથી કામગીરીને વધુ વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 3:55 pm

ભવનાથ રોડ પર સિંહોનું જોખમ છતાં ચેતવણી બોર્ડ નહિ:દિવ્ય ભાસ્કરે ધ્યાન દોરતાં ACFએ કહ્યું, પ્રોસેસ ચાલુ છે; ઝડપથી લગાવી દઈશું, પશુ મારણનાં દૃશ્યો કેમેરામાં કેદ

સિંહોના ગઢ ગણાતા ગિરનાર જંગલ વિસ્તારમાં 2025ની સિંહ વસ્તી ગણતરી મુજબ 54થી વધુ સિંહો વસવાટ કરે છે. જોકે, આ સિંહો હવે જંગલની હદ વટાવીને જૂનાગઢ નજીક આવેલા ગ્રામ્ય વિસ્તાર અને ભવનાથ ક્ષેત્રમાં અવારનવાર આંટાફેરા મારતા જોવા મળી રહ્યા છે. ભવનાથ રોડ પર સિંહોની અવરજવર વચ્ચે લાખો પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી અહીં વન વિભાગ દ્વારા એક પણ સાવચેતીનું બોર્ડ લગાવેલું નથી. જૂનાગઢનો આ જંગલ વિસ્તાર ઇકો ઝોન હેઠળ આવે છે, જ્યાં પ્લાસ્ટિક પર તો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ લોકોની સલામતી અને વન્યજીવોના રક્ષણ માટેના પ્રાથમિક પગલાં લેવામાં વન વિભાગ નિષ્ફળ સાબિત થયું છે. દિવ્ય ભાસ્કરે ભવનાથ રોડનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યા બાદ આ મામલે જૂનાગઢ વન વિભાગના ડીસીએફ અક્ષય જોશીનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેએએ ફોન રિસીવ કર્યો નહોતો. જ્યારે વન વિભાગના ACF સુનિલ પ્રજાપતિએ જવાબ આપતા કહ્યું કે, ચેતવણી બોર્ડ લગાવવાની પ્રોસેસ ચાલુ છે, ઝડપથી લગાવી દઈશું. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં અનેક વખત સિંહો દેખાયા છે અને પશુંઓના મારણ પણ કર્યા છે, જેના વીડિયો પણ સામે આવ્યાં છે. ભવનાથ ક્ષેત્રમાં રવિવારે 'મેળા જેવો માહોલ' અને સિંહનું જોખમજૂનાગઢનું ભવનાથ ક્ષેત્ર માત્ર આશ્રમો અને જગવિખ્યાત ધાર્મિક સ્થળોના કેન્દ્ર પુરતુ નથી, પરંતુ અહીં દર વર્ષે શિવરાત્રી-પરિક્રમા જેવા અને આડા દિવસે પણ લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે. સામાન્ય દિવસોમાં પણ દર રવિવારે જૂનાગઢના લોકો પોતાના પરિવાર સાથે રજાની મજા માણવા અહીં આવે છે. જ્યારે ગિરનાર દરવાજાથી ભવનાથ તળેટી સુધીના રોડ પર દિવસે કે રાત્રે સિંહો નીકળે છે, જે દ્રશ્યો પણ લોકોના મોબાઈલમાં કેદ થયાં છે. ગિરનાર દરવાજાથી ભવનાથ તળેટી સુધીમાં એક પણ બોર્ડ નથીઃ રાહુલ ગોહેલજૂનાગઢ વન વિભાગની ગંભીર બેદરકારી અંગે જાગૃત નાગરિક રાહુલ ગોહેલએ જણાવ્યું કે, હું અહીં જૂનાગઢમાં જ રહું છું. ગિરનાર દરવાજાથી લઈ ભવનાથ તળેટી સુધી સિંહો અને લોકોની સુરક્ષાને લઈ એક પણ સાઈન બોર્ડ કે સૂચના લગાવવામાં આવી નથી. આમ જોવા જઈએ તો જે વિસ્તારમાં હિંસક પ્રાણીઓની અવરજવર વધુ હોય ત્યાં લોકો અને પશુ-પ્રાણીઓની સુરક્ષા માટે સાઇન બોર્ડ લગાવવામાં આવતા હોય છે, પરંતુ ભવનાથ ક્ષેત્રમાં એક પણ સૂચના નથી. વન વિભાગની બેવડી નીતિ: 'સૂચનો નહીં, પણ ઉદ્ધતાઈઆશ્ચર્યજનક વાત તો એ છે કે, વન વિભાગને આ જોખમ વિશે સંપૂર્ણ જાણકારી હોવા છતાં ગિરનાર દરવાજાથી ભવનાથ તળેટી સુધી એક પણ ચેતવણીનું બોર્ડ લગાવ્યું નથી. જંગલ વિસ્તારોમાં સિંહોની અવરજવરનો વિસ્તાર છે, વાહન ધીમું ચલાવો જેવા બોર્ડ લગાવેલા હોય છે, પરંતુ ભવનાથમાં માત્ર પ્લાસ્ટિક પ્રતિબંધની દીવાલો ચણીને સૂચનો આપવામાં આવ્યા છે. જ્યારે સિંહો રસ્તા પર આવે છે અને લોકો તેમને જોવા એકઠા થાય છે, ત્યારે વન વિભાગના કર્મચારીઓ અચાનક પ્રગટ થઈ જાય છે. જો કોઈ વ્યક્તિ મોબાઈલથી સિંહના દૃશ્યો કેમેરામાં કેદ કરે છે, તો તેને રોકવાનો પ્રયાસ કરાય છે અને તેમની સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવે છે. આ સમગ્ર મામલે વન વિભાગની ફરજ અને જ્ઞાન પર ગંભીર સવાલો ઊભા થયા છે. બહારથી આવતા પ્રવાસીઓને સાવચેતીના સૂચનો આપવા જરૂરી છે, પરંતુ વન વિભાગ જાણે કે આ બાબતથી સંપૂર્ણ અજાણ હોય તેમ લાગી રહ્યું છે. દિવ્ય ભાસ્કરના સવાલ પર ACFનો તાત્કાલિક જવાબદિવ્ય ભાસ્કરે જ્યારે આ ગંભીર બેદરકારી અંગે જૂનાગઢ વન વિભાગના અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે જૂનાગઢના ડીસીએફ અક્ષય જોશીએ સતત પ્રયત્નો છતાં ફોન રિસીવ કર્યો નહોતો અને મૌન સેવી લીધું હતું. જ્યારે જૂનાગઢ વન વિભાગના ACF સુનિલ પ્રજાપતિને દિવ્ય ભાસ્કરે આ સમગ્ર બાબત જણાવી ત્યારે જાણે કે તેમને આ અંગે કોઈ ખ્યાલ જ ન હોય તેમ તાત્કાલિક હાજરમાં જવાબ આપતા કહ્યું કે, આ કામની પ્રોસેસ હાલ શરૂ છે. રસ્તા પરથી સિંહો નીકળતા હોય અને જો કોઈ વ્યક્તિ ફોટો કે વીડિયો બનાવતી વખતે સિંહોની રંઝાવટ કરે તો તેને ગુનો બને છે, પરંતુ રોડ પર નીકળેલા સિંહોનો વીડિયો બનાવતા રોકી શકે નહીં. વધુમાં ઉમેર્યું કે, વન વિભાગ દ્વારા જ્યારે સિંહ નીકળે છે, ત્યારે લોકો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવે છે, તો આ બાબતને ચોક્કસ ધ્યાને લેવામાં આવશે. સાઈન બોર્ડ ઝડપથી લગાવી દઈશું. બોર્ડ ન લાગે ત્યાં સુધી લોકો અને સિંહોની સુરક્ષા સામે સવાલોનોંધનીય છે કે, ACFના આ જવાબ પરથી સ્પષ્ટ થાય છે કે, અત્યાર સુધી વન વિભાગ આ મામલે ઘોર નિંદ્રામાં હતું. હાલમાં વન વિભાગે ઝડપથી સાઈન બોર્ડ લગાવવાની ખાતરી આપી છે, પરંતુ ત્યાં સુધી સિંહો અને લોકોની સુરક્ષા પર સવાલો ઊભા છે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 3:55 pm

DGPના આદેશ બાદ 'ડોઝિયર મેનેજમેન્ટ સિસ્ટમ' અમલમાં:અમદાવાદ ગ્રામ્ય પોલીસે 960 ગંભીર ગુનાના આરોપીઓનું 100 કલાકમાં ચેકિંગ કર્યું, 6 ગંભીર ગુનાના આરોપીનું ડોઝિયર પણ તૈયાર

રાજ્યના DGPએ 100 કલાકમાં છેલ્લા 30 વર્ષમાં ગંભીર ગુનાને અંજામ આપી ચુકેલા આરોપીઓનું ચેકિંગ કરી રિપોર્ટ આપવા સૂચના આપી હતી. જે અંતર્ગત અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ગ્રામ્યના 960 આરોપીઓનું ચેકિંગ કર્યું હતું. પોલીસ દ્વારા ગંભીર પ્રકારના 6 અલગ અલગ ગુનાના આરોપીનું ડોઝિયર પણ તૈયાર કરવામાં આવ્યું છે જેથી આરોપીઓનું મોનીટરીંગ થઈ શકે. આરોપીઓના ઘરે જઈને વિગતવાર પૂછપરછ કરવામાં આવીDGP ના આદેશ બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા વિવિધ ટીમ બનાવવામાં આવી હતી. જેમાં 4 DYSP, 25 પીઆઇ, 52 PSI અને 330 પોલીસકર્મીઓએ મળીને આરોપીઓનું ચેકિંગ કર્યું હતું. ગ્રામ્યમાં 1200થી વધુ ગંભીર ગુનાના આરોપીઓ હતા, જેમાંથી 960 આરોપીઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આરોપીઓના ઘરે જઈને વિગતવાર પૂછપરછ કરવામાં આવી હતી. આરોપીના ફોટોગ્રાફ્સ, વર્તમાન પ્રવૃતિ, દસ્તાવેજોની તપાસ સાત પ્રોફાઈલ અપડેટ કરવામાં આવી છે. કયા પ્રકારના ગુનાના આરોપીઓની તપાસ કરી:- જુના વાહનોની લે-વેચ કરતા ગેરેજ માલિકોને સંદેશો અપાયોગ્રામ્ય SP ઓમ પ્રકાશ જાટે જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા પ્રથમ વખત ડોઝિયર મેનેજમેન્ટ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. ડ્રાઇવનો મુખ્ય ઉદ્દેશ આરોપીઓ કોણ છે અને અત્યારે કઈ પ્રવૃતિ કરે છે તેનું ધ્યાન રાખવાનો છે. ચેકિંગ દરમિયાન કોઈ નવો ગુનો નોંધવામાં આવ્યો નથી. આ ઉપરાંત જુના વાહનોની લે વેચ કરતા ગેરેજ માલિકોને પણ સંદેશો આપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 3:38 pm

સરથાણામાં મહિલાનું શંકાસ્પદ મોત:પાણીના ટાંકામાંથી મૃતદેહ મળી આવ્યો, બનાવ અકસ્માતનો કે અન્ય તેને લઈ પોલીસે તપાસ હાથ ધરી

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આજે સવારે એક કરુણ ઘટના બની હતી, જેમાં ઘરના પાર્કિંગમાં આવેલા પાણીના ટાંકામાંથી એક મહિલા મૃત હાલતમાં મળી આવી હતી. સવારે માતા ઘરમાં ન દેખાતા પુત્રએ શોધખોળ શરૂ કરી હતી, ત્યારે જ તેમને પાણીના ટાંકામાં ઊંધા પડેલા જોયા હતા. પાણીના ટાંકામાંથી બેભાન હાલતમાં મળ્યા, હોસ્પિટલે લઈ જતા મૃત જાહેર કરાયાસ્મીમેર હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સરથાણાની 8, નેશનલ પાર્ક સોસાયટીમાં રહેતા 49 વર્ષીય રેખાબેન દામજીભાઈ કથીરિયા આજે સવારે ઘરના પાર્કિંગમાં આવેલા પાણીના ટાંકામાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. માતા ઘરમાં ન દેખાતા પુત્રએ તપાસ કરી તો ટાંકામાં પડેલા જોવા મળ્યામૃતક મહિલાના ભત્રીજા રવિ પટેલના જણાવ્યા અનુસાર, રેખાબેન તેમના પુત્ર ચિરાગ અને પતિ સાથે રહેતા હતા. તેમના પતિ ગોળની ફેક્ટરી ધરાવે છે અને રાત્રે ફેક્ટરી પર હતા. રાત્રે રેખાબેન અને તેમનો પુત્ર ચિરાગ ઘરે હતા. ચિરાગ રાત્રે પોતાના રૂમમાં સૂતો હતો, જ્યારે રેખાબેન પણ ઘરમાં સુતા હતા. જોકે, આજે સવારે ચિરાગ ઊંઘમાંથી ઉઠ્યો ત્યારે માતા ઘરમાં ન દેખાતા તે તેમને શોધવા લાગ્યો હતો. ત્યારે તેમને ઘરના પૉકિંગમાં આવેલા પાણીના ટાંકામાં ઊંધા પડેલા જોયા હતા. તાત્કાલિક તેમને ટાંકામાંથી બહાર કાઢી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત કઈ રીતે સર્જાયો તેને લઈ તપાસ શરૂજોકે, રેખાબેન ટાંકામાં કઈ રીતે પડ્યા તે અંગે હાલમાં કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી.આ બનાવની તપાસ કરી રહેલા સરથાણા પોલીસ સ્ટેશનના એએસઆઈ કાજલબેનએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે રેખાબેન સવારે ડોલ લઈને પાણી ભરવા ગયા હતા ત્યારે પગ લપસી જવાથી તેઓ ટાંકામાં પડી ગયા હતા. જોકે, આ એક અકસ્માત હતો કે અન્ય કોઈ કારણ જવાબદાર છે, તે અંગેની સાચી હકીકત સ્થળ પરની અને અન્ય તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 3:34 pm

'પતિ સાથે બેડરૂમમાં હોવ ત્યારે સાસુ વચ્ચે આવીને સૂઈ જતા':માનસિક ત્રાસના કારણે ગર્ભાવસ્થામાં મિસકેરેજ થયું, વડોદરાની પરિણીતાએ પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ નોંઘાવી

મૂળ વેરાવળના અને હાલ વડોદરાના અલકાપુરી વિસ્તારમાં પીજીમાં રહેતી 32 વર્ષીય પરિણીત મહિલાએ પતિ, સાસુ-સસરા અને જેઠ સામે ગંભીર આક્ષેપો કરતી ફરિયાદ નવાપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. આ ફરિયાદમાં મહિલાએ શારીરિક-માનસિક ત્રાસ, દહેજ માટે સતત માંગણી, પગાર અને ડીમેટ એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લેવા તેમજ મારી નાખવાની ધમકી આપવા જેવા આરોપ મૂક્યા છે. આ મામલે નવાપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પીડિતાના વર્ષ 2020માં પોરબંદરના યુવક સાથે લગ્ન થયા હતાફરિયાદી મહિલાના જણાવ્યા મુજબ તેમના લગ્ન તા. 4 ફેબ્રુઆરી, 2020ના રોજ પોરબંદરમાં રહેતા યુવક સાથે હિન્દુ રીત-રિવાજ પ્રમાણે થયા હતા. લગ્ન બાદ પતિ વડોદરામાં નોકરી કરતા હોવાથી પીડિત મહિલા અને તેમના સાસુ વડોદરાના રાજમહેલ રોડ પરના ઘરમાં ઓક્ટોબર 2022 સુધી સાથે રહેતા હતા. લગ્નના થોડા સમયથી જ પતિ, સાસુ, સસરા તથા પુણે રહેતા જેઠે ફરિયાદીને તું પિયરમાંથી કંઈ લાવી નથી, નોકરી પણ નથી કરતી, તને કોઈ કામની ઢબ નથી” જેવા મેણા-ટોણા મારવાનું શરૂ કર્યું હતું. પિયરમાંથી રૂપિયા અને ઘરેણાં લાવવા માટે સતત દબાણ કરવામાં આવતું હતું અને નહીં લાવે તો “પિયરમાં ચાલી જા” તેવી ધમકીઓ આપવામાં આવતી હતી. પીડિતાએ નોકરી શરૂ કરી તો પગાર પણ સાસરિયાઓ લઈ લેતા હોવાનો આક્ષેપઆ દબાણને કારણે પીડિત મહિલાએ નોકરી શરૂ કરી હતી, પરંતુ તેમનો આખો પગાર પતિ ઓનલાઈન ટ્રાન્સફર કરી પોતાના ખાતામાં લઈ લેતા હતા. આ રીતે અલગ-અલગ સમયે કુલ રૂ. 5 લાખ જેટલી રકમ કઢાવી લેવામાં આવી હતી. આ ઉપરાંત ફરિયાદીના ડીમેટ એકાઉન્ટમાંથી રૂ. 4,19,382 પણ સાસુએ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હોવાનો આરોપ છે. લગ્ન વખતે પિતાએ આપેલ સોનાના દાગીના અને અન્ય સામાન પણ હજુ સુધી સાસરિયાં પાસે જ છે. ફરિયાદીએ વધુમાં જણાવ્યું કે રાત્રે પતિ-પત્ની બેડરૂમમાં હોય, ત્યારે સાસુ વચ્ચે આવીને સૂઈ જતા હતા, જેના કારણે દાંપત્ય જીવનમાં પણ ખલેલ પડતી હતી. સતતના માનસિક ત્રાસને કારણે ગર્ભાવસ્થા દરમિયાન મિસકેરેજ પણ થયું હતું. પતિ, સાસુ, સસરા અને જેઠ સામે ફરિયાદઓગસ્ટ-2022માં પતિ દુબઈ નોકરી માટે ગયા બાદ ફરિયાદીને ઓક્ટોબર-2022માં સસરા વેરાવળના પિયરમાં મૂકી ગયા હતા. ત્યારબાદ સાસરિયાંએ તેમને પાછા બોલાવ્યા નહોતા અને પતિને ફોન પર કહ્યું હતું કે હવે આપણે છૂટાછેડા લઈ લઈએ. ફરિયાદીએ લગ્ન બચાવવા સામાજિક તેમજ પ્રી-લિટિગેશન લોક અદાલત દ્વારા સમાધાનના પ્રયાસો કર્યા હતા, પરંતુ સફળતા ન મળતાં આખરે પોલીસ ફરિયાદ કરવી પડી હતી. પીડિત મહિલાએ પતિ, સસરા, સાસુ તથા જેઠ વિરુદ્ધ નવાપુરા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 3:29 pm

પાર્સલમાં ડોલર હોવાનું કહી મહિલાને ડરાવી:શિનોરના માલસરના ખેડૂત પત્ની સાથે 1.45 લાખની ઠગાઈ, તમારું પાર્સલ અમદાવાદ એરપોર્ટ પર CIDએ પકડ્યું છે, છોડાવવા રૂપિયા ટ્રાન્સફર કરો

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલસર ગામના ખેડૂતના પત્ની પર વોટસએપ પર કોલ કરીને અમદાવાદ એરપોર્ટ પર પાર્સલ આવ્યું છે. તે છોડાવવા બાદ સીઆઇડીવાળાએ પાર્સલ પકડ્યું છે અને તેમાં ડોલર છે. તેવું કહી ટુકડે ટુકડે ઓનલાઈન રકમ અને ચેકથી મહિલા પાસેથી રૂપિયા 1.45 લાખ પડાવી લેતા આ મામલે શિનોર પોલીસ મથકમાં અજાણ્યા ઠગ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. વડોદરાના શિનોરના ખેડૂત જીતેન્દ્ર જયંતી પટેલે શિનોર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, 25મી જુલાઈએ સવારે તેમના પત્ની પર વોટ્સએપ કોલ આવ્યો હતો. જેમાં મહારાષ્ટ્ર બ્રાન્ચની સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ડિસ્પ્લે થતું હતું. વાત કરનારે તેમની પત્નીને માહિતી આપી હતી કે તમારું કુરિયર અમદાવાદ એરપોર્ટ પર આવ્યું છે, તેને છૂટું કરવા રૂપિયા 25 હજાર આપવા પડશે કહી ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં થોડીવારે ફરી તેમના પર ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તમારું પાર્સલ સીઆઇડીવાળાએ પકડ્યું છે. તેને છૂટુ કરવા માટે 35 હજાર મોકલવા પડશે. તેથી તેમના પત્નીએ ગુગલ મારફતે 35 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ પાર્સલમાં ડોલર છે તેવું કહી તેને છોડાવવા માટે તમારે 85 હજાર ભરવા પડશે, નહીં તો સીઆઇડી તમને પકડી જશે. એમ કહી સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના ખાતામાં રૂપિયા 85 હજાર ચેકથી ટ્રાન્સફર કરાવ્યા હતા. આમ અલગ અલગ ટ્રાન્સફરથી અને ચેકથી મળી કુલ રૂપિયા 1.45 લાખ ટ્રાન્સફર કરાવ્યા બાદ ઠગાઈ આચરી હોવાનું જાણવા મળતા તેઓએ આ મામલે શિનોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 3:20 pm

કલોલમાં નજીવી બાબતે હત્યાનો પ્રયાસ:અમદાવાદની હીરામણી સ્કૂલ બસના કંડક્ટરને સહકર્મીએ પેટમાં છરી મારી, આંતરડામાં બે કાણાં પડ્યા, પોલીસ ફરિયાદ નોંધાઈ

કલોલ તાલુકાના જાસપુર ગામમાં રાત્રે તાપણી કરી રહેલા એક યુવક પર તેના જ ગામના એક શખ્સે છરી વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. હિરામણી સ્કૂલ બસની નોકરીની અદલાબદલી જેવી નજીવી બાબતે ઉશ્કેરાઈને શખ્સે યુવકના પેટમાં છરી મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે સાંતેજ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. કિશન હિરામણી સ્કૂલની સ્કૂલ બસમાં કન્ડક્ટર તરીકે નોકરી કરે છેકલોલ તાલુકાના જાસપુર ગામમાં રહેતો કિશન શંકરજી ઠાકોર છેલ્લા બે વર્ષથી વૈષ્ણોદેવી સર્કલ નજીક આવેલી હિરામણી સ્કૂલની સ્કૂલ બસમાં કન્ડક્ટર તરીકે નોકરી કરે છે. ગઈકાલે રાતે કિશન તેના કુટુંબી ભાઈઓ વિજય રાજુજી ઠાકોર, વિજય અમરતજી ઠાકોર સાથે ગામમાં આવેલ રામદેવપીર મંદિરના ચોકમાં તાપણી કરતો હતો. 'હું જે બસમાં કન્ડક્ટર તરીકે હતો તે બસ તારા લીધે જ બદલાઇ ગઇ'એ દરમિયાન ગામનો સુનીલ રમણજી ઠાકોર ત્યાં પહોંચીને કહેવા લાગ્યા કે કિશન તારા લીધે મારી નોકરી બદલાઇ ગઇ અને હું જે બસમાં કન્ડક્ટર તરીકે હતો તે બસ તારા લીધે જ બદલાઇ ગઇ છે. તું નોકરી બંધ કરી દેજે નહી તો તને જાનથી મારી નાખીશ. બાદમાં તે એકદમ ઉશ્કેરાઈ જઈ કિશન સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. વિજયે સુનિલ ઠાકોરને ધક્કો મારીને કિશનને છોડાવ્યોઆ માથાકૂટના પગલે વિજયે સુનિલ ઠાકોરને ધક્કો મારીને કિશનને છોડાવ્યો હતો. દરમિયાન સુનીલે તેના ખિસ્સામાંથી છરી કાઢીને કિશનના પેટમાં મારી દીધી હતી. જેથી કિશનના પેટમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. છરીના ઘાથી કિશનના આંતરડામાં બે કાણાં પડી ગયાબાદમાં તાત્કાલિક બંને પિતરાઈ ભાઈઓએ તેને એક્ટિવા પર બેસાડી ઘરે પહોંચાડ્યો હતો. ત્યાંથી કિશનના પિતા અને મોટા બાપા મહેશજી ઠાકોર તેને રિક્ષામાં બેસાડીને કલોલ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાંથી કલોલ સિવિલમાંથી વધુ સારવાર માટે કિશનને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. છરીના ઘાથી કિશનના આંતરડામાં બે કાણાં પડી જતા ફરજ પરના તબીબે તાત્કાલિક ઓપરેશન કરી વધુ સારવાર અર્થે કિશનને દાખલ કર્યો છે. આ અંગે સાંતેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 3:09 pm

મુગલિસરા રોડ પર આલુપુરીની આડમાં MD-ડ્રગ્સનું વેચાણ કરતો પેડલર ઝડપાયો:2.72 ગ્રામ જપ્ત, સરફરાજ શેખે કબૂલ્યું કે પોતે પણ નશો કરતો હતો

સુરતમાં ડ્રગ્સની હેરાફેરી સામે લાલગેટ પોલીસની સર્વેલન્સ ટીમે મોટી સફળતા મેળવી છે. આલુપુરીની લારીની આડમાં પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સનું વેચાણ કરતા એક પેડલરને પોલીસે 27 હજાર રૂપિયાના ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. પેટ્રોલીંગ દરમિયાન શંકાસ્પદ જણાતા બાઇક ચાલકને અટકાવી તેની તલાશી લેતા આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો હતો. આલુપુરી લારીના ધંધાની આડમાં MD-ડ્રગ્સનું વેચાણપ્રાપ્ત માહિતી અનુસાર, લાલગેટ પોલીસની સર્વેલન્સ ટીમ વિસ્તારમાં નિયમિત પેટ્રોલીંગ કરી રહી હતી. આ દરમિયાન, દરગાહ પાસેના રોડ પરથી પસાર થઈ રહેલા એક ટૂ-વ્હીલર ચાલક પર પોલીસને શંકા ગઈ અને તેને અટકાવ્યો. પોલીસે જ્યારે તેની અંગત તલાશી લીધી, ત્યારે તેના ખિસ્સામાંથી 2.72 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું, જેની બજાર કિંમત રૂ. 27,200 આંકવામાં આવી છે. લાલગેટ પોલીસની સર્વેલન્સ ટીમે​ ​​પેડલરને દબોચ્યોઝડપાયેલા આરોપીની ઓળખ સરફરાજ મોહમદ સલીમ શેખ (ઉં.વ.21, રહે. ગુલસ્તાન એપાર્ટમેન્ટ, શાહપોર, સુરત) તરીકે થઈ છે. પૂછપરછમાં સરફરાજે કબૂલાત કરી કે તે મુગલિસરા રોડ પર આલુપુરીની લારી ચલાવે છે અને આ લારીના ધંધાની આડમાં ડ્રગ્સનો જથ્થો મંગાવીને તેનું છૂટક વેચાણ કરતો હતો. પોતે પણ MD ડ્રગ્સનો નશો કરતોપેડલર સરફરાજ શેખે કબૂલ્યું કે તે પોતે પણ MD ડ્રગ્સનો નશો કરતો હતો. ડ્રગ્સ વેચાણની મોડસ ઓપરેન્ડી અંગે તેણે પોલીસને જણાવ્યું કે, ગ્રાહકો તેની લારી પર આવતા પહેલા તે પોલીસની હિલચાલ પર નજર રાખતો. કોઈ શંકા ન જાય તે માટે તે લારી પર સીધી ડિલિવરી કરવાને બદલે આજુબાજુના રસ્તાઓ કે ચાલતા વાહનોમાં ડ્રગ્સની ડિલિવરી કરતો હતો. 2.72 ગ્રામ MD ડ્રગ્સ સહિતના 65 હજારનો મુદ્દામાલ જપ્તપોલીસે આરોપી સરફરાજ શેખની NDPS એક્ટ હેઠળ ધરપકડ કરી છે. તેની પાસેથી 2.72 ગ્રામ MD ડ્રગ્સ, એક મોબાઈલ ફોન, રોકડા રૂ. 2,000 અને હોન્ડા મોપેડ મળીને કુલ રૂ. 65,200 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. લાલગેટ પોલીસે હવે આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો અને આ રેકેટમાં અન્ય કોણ કોણ સામેલ છે તે જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 2:57 pm

રાતીયામાં સહકારી મંડળી પ્રમુખ પર હુમલો:ખેતરમાં વાવેતર મુદ્દે થયેલો ઝઘડો હત્યામાં પરિણમ્યો

પોરબંદરના રાતીયા ગામે સહકારી મંડળીની જમીનમાં વાવેતર મુદ્દે થયેલો જીવલેણ હુમલો હવે હત્યામાં પરિણમ્યો છે. ગાયત્રી સામુહિક સહકારી મંડળીના પ્રમુખ દેવશીભાઈ ગાંગાભાઈ કેશવાલા (ઉંમર 63) પર લોખંડના પાઇપ વડે હુમલો કરાયો હતો. રાજકોટમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, રાતીયા ગામના પરબત નાથા ઓડેદરા અને કારા પરબત મોરી ગાયત્રી સામુહિક સહકારી મંડળીના સભ્ય ન હોવા છતાં ખેતરમાં વાવેતર કરવા ગયા હતા. મંડળીના પ્રમુખ દેવશીભાઈએ આ અંગે વાંધો ઉઠાવતા બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. ઝઘડા દરમિયાન આરોપીઓએ દેવશીભાઈ પર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં દેવશીભાઈના માથા અને કપાળના જમણા ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત દેવશીભાઈને સૌપ્રથમ સ્થાનિક સારવાર અપાઈ હતી, ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે દેવશીભાઈના ભાઈ મ્યાજરભાઈએ માધવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી હતી. સારવાર દરમિયાન દેવશીભાઈનું મોત થતાં આ બનાવ હત્યામાં પલટાયો છે. માધવપુર પોલીસે હવે આરોપીઓ સામે હત્યાની વધારાની કલમો ઉમેરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 2:56 pm

લખપતમાં સસલા-સાંઢાના શિકારી ઝડપાયા:વન વિભાગે કોરિયાણીમાંથી 3 આરોપીને પકડી વન્ય પ્રાણી અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી

કચ્છના લખપત તાલુકાના કોરિયાણી ગામ પાસેથી વન વિભાગે સસલા અને સાંઢાનો શિકાર કરવા બદલ ત્રણ વ્યક્તિને ઝડપી પાડ્યા છે. નારાયણ સરોવર રાઉન્ડમાં રાત્રિ પેટ્રોલીંગ દરમિયાન આ શિકારીઓ પકડાયા હતા. તેમની સામે વન્ય પ્રાણી અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વન વિભાગે આરોપીઓ પાસેથી એક મૃત સસલું અને છ સાંઢા કબજે કર્યા છે. આ ઉપરાંત, શિકારમાં ઉપયોગમાં લેવાયેલી બે મોટરસાયકલ, એક હાથ બેટરી અને ત્રણ મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં કોરિયાણી-લખપતના કોળી હિરજી ખમીશા, સુખપર-નખત્રાણાના કોળી કિશોર ઉમરશી અને લુડવા-માંડવીના કોળી ગુલાબ બાબુલાલનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી મુખ્ય વન સંરક્ષક, કચ્છ વન વર્તુળ અને નાયબ વન સંરક્ષક, કચ્છ પશ્ચિમ વન વિભાગના માર્ગદર્શન હેઠળ વન ગુના અને વન્યપ્રાણી શિકાર અટકાવવાની ઝુંબેશના ભાગરૂપે કરવામાં આવી હતી. આ કામગીરીમાં દયાપર ઉત્તર રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર પી.જે. આશરા, દયાપરના ઇ.વનપાલ ડી.આર. જોશી અને વનરક્ષક એમ.જે. ભીલ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 2:53 pm

સસરાએ જમાઈને છાતીમાં ચપ્પુ મારી પતાવી દીધો:પુત્રી સાથે અવારનવાર ઝઘડો કરવાના મામલે ગુસ્સે ભરાયેલા સસરાએ ખુની ખેલ ખેલ્યો, ગણતરીના કલાકમાં આરોપીની ધરપકડ

સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં આવેલા ભરીમાતા રોડ, નહેરુનગર ઝૂંપડપટ્ટી ખાતે એક સસરાએ પોતાના જ જમાઈની હત્યા કરી નાખતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પુત્રી સાથે અવારનવાર ઝઘડો કરવાના મામલે ગુસ્સે ભરાયેલા સસરાએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી જમાઈનું મોત નીપજાવ્યું હતું. ઘટનાને પગલે આરોપી સસરાની ધરપકડ કરાઈ છે. મદીના મસ્જિદની સામેની ગલીમાં ખેલાયો ખૂની ખેલ બનાવની વિગત મુજબ, તા. 21/11/2025ના રોજ સાંજના 7 વાગ્યાના અરસામાં ભરીમાતા રોડ, ફુલવાડી, નહેરુનગર ઝૂંપડપટ્ટી, મદીના મસ્જિદની સામેની ગલીમાં આ ખૂની ખેલ ખેલાયો હતો. હત્યાનો ભોગ બનનાર સલમાન રફીક અહેમદ શાહ (ઉ.વ-23) હતો, જ્યારે હત્યાનો આરોપ તેના સસરા નજીઉલ્લા મુસ્તાકીમ શાહ (રહે- નહેરુનગર ઝૂંપડપટ્ટી, સુરત) પર મૂકવામાં આવ્યો છે. સસરા અને જમાઈ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલતો હતોપોલીસ પાસેથી મળતી માહિતી અને એસીપી આર. આર. આહીરના નિવેદન અનુસાર, સસરા નજીઉલ્લા શાહ અને જમાઈ સલમાન શાહ વચ્ચે લાંબા સમયથી પારિવારિક વિવાદ ચાલતો હતો. સલમાન તેની પત્ની નજીઉલ્લાની પુત્રી સાથે વારંવાર ઝઘડો કરતો હતો. આ ઝઘડાનું મુખ્ય કારણ કૌટુંબિક અને નાણાંકીય હતું. પત્ની પાસે મૃતક વારંવાર પૈસા માગતો હોવાથી સસરા અકળાયેલા હતાએસીપી આહીરે જણાવ્યું હતું કે, ઝઘડા પાછળનું એક કારણ એ હતું કે સલમાન શાહ કમાતો ન હોવાથી તેની પત્ની પોતાના પિતા નજીઉલ્લાને પૈસા આપવાનું કહેતી હતી. આ મુદ્દે પતિ-પત્ની વચ્ચે સતત ઘર્ષણ થતું હતું, જેનાથી સસરા નજીઉલ્લા પણ અકળાયેલા રહેતા હતા. ગુસ્સામાં આવી જમાઈના છાતીના ભાગે ચપ્પુનો ઘા માર્યોમૃતક સલમાનના ભાઈ મહમદ તોસીફ મહમદ રફીક શાહની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. ગુનાવાળી જગ્યાએ, આરોપી નજીઉલ્લા શાહે જમાઈ સલમાનને ઠપકો આપ્યો હતો કે કેમ મારી દીકરી સાથે ઝઘડો કર્યા કરે છે? આ વાતચીત દરમિયાન મામલો ગરમાયો અને ગુસ્સામાં આવી જઈ સસરા નજીઉલ્લાએ તેની પાસે રહેલા ચપ્પુ વડે જમાઈ સલમાનના છાતીના ડાબા ભાગે ગંભીર ઘાવ માર્યો હતો. ચપ્પુના ઘાને કારણે સલમાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યોહત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સસરો નજીઉલ્લા મુસ્તાકીમ શાહ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ચોક બજાર પોલીસ સ્ટેશનની ટીમે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. પોલીસે મોડી રાત્રે જ ઓપરેશન પાર પાડી ફરાર સસરા નજીઉલ્લાની ધરપકડ કરી લીધી હતી. ચોક બજાર પોલીસે હાલમાં હત્યાના ગુનામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી સામે કડક પગલાં લેવામાં આવશે. આ બનાવને કારણે નહેરુનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 2:50 pm

મહિલાએ લગ્નની ના પાડ્યા બાદ પણ યુવકનું કારસ્તાન:અમદાવાદમાં રહેતી વડોદરાની વિધવા મહિલાના આપત્તિજનક ફોટો યુવકે વાયરલ કર્યાં, નવાપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી

વડોદરાની વિધવા મહિલા સાથે પ્રેમ સંબંધ બાંધ્યા બાદ અમદાવાદમાં રહેતા પ્રેમી યુવકે મહિલાના આપત્તિજનક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા હતા. આ મામલે મહિલાએ વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશનમાં યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે. મૂળ રાજસ્થાનની અને વડોદરામાં રહેતી 37 વર્ષીય વિધવા મહિલા અમદાવાદમાં દીકરી સાથે રહેતી હતી. આ દરમિયાન અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા ઉત્તમ રમેશભાઈ જૈન નામના 35 વર્ષીય યુવક સાથે તેનો સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક થયો હતો અને બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જો કે, મહિલાને યુવક યોગ્ય ન લાગતા મહિલાએ તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી, ત્યારબાદ યુવકે મહિલા સાથેના આપત્તિજનક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા હતા અને ઓ ફોટો મહિલાના પરિવારજનોને મોકલ્યા હતા. પોતાના આપત્તિજનક ફોટો જોયા બાદ મહિલાએ નવાપુરા પોલીસની મદદ લીધી હતી અને આ મામલે નવાપુરા પોલીસ સ્ટેશનમાં આરોપી યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. મહિલાના પતિ મૃત્યુ પામ્યા છે અને મહિલાની દીકરી અભ્યાસ કરે છે. આરોપી યુવક મૂળ રાજસ્થાનનો જ વતની છે અને તે ઇલેક્ટ્રીશિયનનું કામ કરે છે. નવાપુરા પોલીસે યુવક સામે કલમ 354 અને આઇટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે અને આરોપી ઉત્તમ જૈનની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 2:48 pm

પ્રેમીએ પ્રેમીકાને સ્વીકારવાનો ઈનકાર કરતા સગીરા મનોમન ભાંગી પડી:મહેસાણા ST બસ સ્ટેન્ડમાં યુવતીને રડતા જોઈ જાગૃત નાગરિકે 181ને જાણ કરી, સગીરાનું કાઉન્સેલિંગ

મહેસાણા બસ સ્ટેન્ડમાં એક સગીરાને તેના પ્રેમીએ સ્વીકારવાનો ઈનકાર કરતા તે મનોમન ભાગી પડી હતી. જેને રડતા જોઈ એક જાગૃત નાગરિકે મહિલા હેલ્પલાઈન 181 પણ કોલ કરી અભયમને જાણ કરી હતી. જેથી ટીમ તુરંત સ્થળ પર દોડી આવી હતી. જ્યાં સગીરાને દુ:ખી અવસ્થામાં જોઈ તેને મદદ કરવાની સાત્વના આપી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં તેને તેના પ્રેમી દ્વારા દગો આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. પ્રેમીએ પ્રેમીકાને સ્વીકારવાનો ઈનકાર કર્યોસગીરા પાસેથી જાણવા મળે વિગતો મુજબ 181ની ટીમે 17 વર્ષીય સગીરાને સામાજિક પ્રસંગે વારંવાર મુલાકાત થતા 23 વર્ષીય કુટુંબિક યુવક સાથે આખો મળી જતા બંને વચ્ચે પ્રેમ સંબંધો બંધાયા હતા. જે બાદ બંને એકબીજા સાથે વાતો કરતા હતા બાદમાં યુવક મજૂરી કામે મહેસાણા આવી વસ્યો હતો. જેથી બન્નેની મુલાકત બંધ થઈ ગઈ હતી. પરંતુ ફોન પર બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયેલો રહ્યો હતો. જોકે એક દિવસ યુવકે સગીરાને મળવા માટે બોલાવતા તે મહેસાણા બસ સ્ટેન્ડ ખાતે આવી હતી. જ્યાં યુવકે તેની સાથે પ્રેમ ભરી મુલાકાત તો કરી હતી. પરંતુ તે તેની સાથે આવવા ઇચ્છતી હોઈ તેને સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. સગીરા મનોમન ભાંગી પડીજેથી પોતાના પ્રેમીનું આ પ્રકારનું વર્તન જોઈ સગીરાના મનમાંથી પ્રેમનો પરપોટો ફૂટી ગયો હતો. જેને ખૂબ આઘાત લાગતા મનોમન ભાંગી પડી હતી. જે જાણ્યા બાદ 181 ની ટીમે તેની ઉંમર સગીર વયની હોઈ તે લગ્ન કરી ન શકે કે આ ઉંમરે આવું થવું સહજ છે પણ કોઈ ઓર વિશ્વાસ ન મૂકી માતા-પિતા સાથે રહેવું સુરક્ષિત હોવાનું સમજાવ્યું હતું. જેથી સગીરા પોતાના પરિવાર પાસે જવા ઇચ્છતા તેને નજીકના આશ્રય સ્થાને આશરો અપાવી પરિવાર સાથે મિલાપ કરાવવાની પ્રક્રિયા કરાઈ હતી. આમ પ્રેમમાં દગો મળતા માનસિક તણાવમાં મુકાયેલ સગીરાને 181ની ટીમની મદદથી સાચી સમજ મળી હતી. 300 કિમી દૂર મળવા આવેલ પ્રેમિકાને સ્વીકારવાનો ઈનકારમહેસાણામાં શ્રમ કામ માટે આવી વસેલા એક યુવકે પોતાના કૌટુંબિક એક સગીરા સાથે પ્રેમ કરી ફોન પર વાતો કરતા તેને મળવા માટે મહેસાણા બોલાવી હતી. જ્યારે સગીરા યુવકના પ્રેમમાં આંધળી બની અન્ય જિલ્લા માંથી 300 કિ.મી. અંતર કાપી મહેસાણા બસ સ્ટેશન આવતા બન્ને એક બીજાને મળ્યા હતા. બાદમાં સગીરાએ યુવકને તેની સાથે તેને લઈ જવા કહેતા યુવકે મોઢું ફેરવી લીધું હતું. પ્રેમિકાને સ્વીકારવાનો ઈન્કાર કરતો યુવક તેને ત્યાં એકલી મૂકી જતો રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 2:40 pm

ગુજરાતમાં ભવ્ય ‘ટેનિસ પ્રીમિયર લીગ GSTA Race to Gold’નું આયોજન:વિશ્વના ટોપ ખેલાડીઓ સાથે યુવા ખેલાડીઓને મળશે મંચ, અનેક શહેરોમાંથી 10થી 15 વર્ષના ખેલાડીઓ ભાગ લેશે

ગુજરાત સ્ટેટ ટેનિસ એસોસિએશન દ્વારા ટેનિસ પ્રીમિયર લીગ GSTA “Race to Gold”નું આકર્ષક આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના બરોડા, સુરત, ભાવનગર સહિત અનેક શહેરોમાંથી 10, 14 અને 15 વર્ષની ઉમરના ખેલાડીઓ ભાગ લેશે. યુવા ખેલાડીઓને તમામ ભાગ લેનારીઓને ખાસ ટેનિસ કીટનું વિતરણ પણ થશે. આ લીગને ઓલ ઇન્ડિયા સ્તરે પણ વિશેષ માન્યતા મળી છે. ટોપ 50 રેન્ક ધરાવતા વિદેશી ખેલાડીઓ પણ ગુજરાતમાં આવવાના છે. લીગનો પ્રથમ તબક્કો ડિસ્ટ્રિક્ટ રેન્કિંગ ટુર્નામેન્ટ અને ત્યારબાદ ગ્રાન્ડ ફાઇનલ્સ સાથે પૂર્ણ થશે. વિશ્વના ટોપ ખેલાડીઓ સાથે યુવા ખેલાડીઓને મળશે મંચ9 થી 14 ડિસેમ્બર દરમિયાન યોજાનારી આ લીગ ગુજરાત માટે એક મોટી ઇવેન્ટ સાબિત થવાની છે. કોમનવેલ્થ અને ઓલિમ્પિક જેવી ભવ્યતા આ સ્પર્ધામાં જોવા મળશે. લીગના પ્રથમ જ દિવસે સાનિયા મિર્ઝા ખાસ હાજરી આપશે અને કોર્ટ પર રમતી પણ જોવા મળશે. સાથે જ સોનાલી બેન્દ્રે, મહેશ ભૂપતિ અને રકુલ પ્રીત સિંહ પણ ટીમોને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત આવશે. રાજ્યભરમાંથી કુલ 8 ટીમો ભાગ લેશે, દરેક મેચ 100 પોઈન્ટ ફોર્મેટમાં રમાશે. તમામ ખેલાડીઓને સંપૂર્ણ ટેનિસ કીટ આપવામાં આવશે. 6 વર્ષ બાદ મહારાષ્ટ્રની બહાર ગુજરાતમાં લીગનું આગમનગુજરાત યુનિવર્સિટી ટેનિસ સેન્ટરના ડિરેક્ટર રૂપક કાપડિયાએ જણાવ્યું કે ,આ ટુર્નામેન્ટ માત્ર અમદાવાદ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે ગર્વની બાબત છે. કોમનવેલ્થ ઓલિમ્પિકની તૈયારી વચ્ચે આવી વિશાળ ઇવેન્ટનું આયોજન રાજ્યના ખેલાડીઓ માટે વિશેષ પ્રેરણાદાયી છે. જ્યારે ટેનિસ પ્રીમિયર લીગના કો-ફાઉન્ડર મૃણાલ જૈને જણાવ્યું કે છ વર્ષ બાદ પહેલીવાર મહારાષ્ટ્રની બહાર, ગુજરાતમાં લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ટુર્નામેન્ટનું લાઈવ પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે અને એલેઝાન્ડર મુલર, ડાર્ડેરી સહિતના જાણીતા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ તેમજ રોહન બોપન્ના જેવા ભારતીય દિગ્ગજો તેમાં ભાગ લેશે. દર્શકો માટે ખાસ 25 પોઈન્ટનો નવો ફોર્મેટ રજૂ કરવામાં આવ્યો છે, જે ટેનિસને વધુ રોમાંચક બનાવશે. ઇવેન્ટ ગ્રાસરૂટ લેવલે ટેનિસની અવરનેસ વધારશેકો-ફાઉન્ડર કુણાલ ઠાકુરે જણાવ્યું કે આઠ ટીમમાંથી દરેકમાં ત્રણ ખેલાડી હશે. એક ટોપ ઇન્ટરનેશનલ સિંગલ્સ ખેલાડી, એક ટોપ ભારતીય ખેલાડી અને એક મહિલા ખેલાડી. ટુર્નામેન્ટમાં ટેનિસ સાથે મનોરંજન, લાઈવ પરફોર્મન્સ, ફૂડ પાર્ક અને સેલિબ્રિટીઝની હાજરી પણ રહેશે. ગુજરાત સ્ટેટ ટેનિસ એસોસિએશનના પ્રેસિડન્ટ ક્રિષ્ના પારેખે જણાવ્યું કે, આ ઇવેન્ટ ગ્રાસરૂટ લેવલે ટેનિસની અવરનેસ વધારશે અને આગામી દાયકામાં ગુજરાતી યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવા માટે મહત્વનું સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 2:29 pm

નશાખોર પતિની હત્યામાં પત્ની નહીં પુત્ર જ હત્યારો:રાજકોટના કોઠારીયા રોડ પર પ્રૌઢને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધાની ઘટનામાં બહેને ભાભી - ભત્રીજા સામે FIR નોંધાવી હતી

રાજકોટના કોઠારિયા રોડ પરના હુડકો ક્વાટર્સમાં રહેતા પ્રૌઢ નરેશભાઈ વ્યાસે નશાખોર હાલતમાં ઘરમાં જ ધમાલ મચાવતા તેના પુત્ર હર્ષે છરીના ઘા ઝીંકી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટનામા મૃતક પ્રૌઢના બહેન દ્વારા પોતાની ભાભી અને ભત્રીજા સામે ભક્તિનગર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જોકે પોલીસે કરેલી તપાસમાં ટ્વીસ્ટ આવ્યુ છે અને માત્ર પુત્ર જ પિતાનો હત્યારો હોવાનું સાબિત થતા પોલીસે તેની ધરપકડ કરી છે. જ્યારે આ ઘટનામાં મૃતકની પત્નીનો કોઈ રોલ ન હોવાથી પોલીસે તેમની સામે કોઈ કાર્યવાહી કરી નથી. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, હુડકો ક્વાટર્સમાં રહેતા નરેશભાઈ નટવરલાલ વ્યાસ (ઉ.વ.56) ગુરૂવારે રાત્રે દારૂનો નશો કરીને ઘરે પહોંચ્યા હતા અને તેમની પત્ની સ્મિતાબેન સાથે માથાકૂટ શરૂ કરી હતી. પોતાની પાસે રહેલી છરીથી નરેશભાઈએ પત્ની પર હુમલો કરવાનો પ્રયાસ કરતાં પુત્ર હર્ષ વ્યાસે છરી આંચકી લઇ પિતા નરેશભાઈને જ છરીના ઘા ઝીંકી દીધા હતા અને નરેશભાઈનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. નરેશભાઈની હત્યા અંગે રેલનગરની દ્વારકેશ સોસાયટીમાં રહેતા તેમના બહેન વર્ષાબેન રમેશભાઈ પંડયાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે તેના ભાભી સ્મિતાબેન અને ભત્રીજા હર્ષ વ્યાસના નામ આપ્યા હતા પરંતુ પોલીસ તપાસમાં માત્ર પુત્ર જ હત્યારો હોવાનું સામે આવ્યું છે. ભક્તિનગર પોલીસ સ્ટેશનના તપાસનીશ અધિકારી ગોહિલે જણાવ્યું હતું કે, હત્યાની ઘટના બાદ પ્રાથમિક તપાસમાં હર્ષ વ્યાસે તેના પિતા નરેશભાઈને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા હોવાનું ખુલ્યું છે. જેથી હર્ષ વ્યાસની ધરપકડ કરવામાં આવી છે. મૃતકના પત્ની સ્મિતાબેન હત્યા સમયે ઘટના સ્થળે હાજર હતા પરંતુ હત્યામાં તેમનો કોઈ રોલ હોય તેવા કોઈ પુરાવા મળ્યા નથી જેથી હત્યાના ગુનાની ફરિયાદમાં આરોપી તરીકે રહેલા સ્મિતાબેનનું નામ આરોપી તરીકે રદ કરવા આગામી દિવસોમાં સી સમરી ભરી દેવાશે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 2:24 pm

મફત નાસ્તા મુદ્દે મારામારી:દુકાનદારે પૈસા માંગતા ગ્રાહકે ત્રણ ભાઈઓને માર માર્યો, છરી બતાવી ધમકી આપી

શહેરના આતભાઈ ચોક પાસે મફતમાં નાસ્તો આપવા મુદ્દે થયેલી મારામારીમાં ત્રણ ભાઈઓને માર મારવામાં આવ્યો હતો. આ ઘટના રિંગ રોડ પર રહેતા અને આતાભાઈ જોગર્સ પાર્ક નજીક માલધારી ટી-સ્ટોલ પર રાત્રિના સમયે એક ઈસમે ચા-નાસ્તા બાદ દુકાનદારે પૈસા માંગતા શખ્સએ પૈસા આપવાની ના પાડી ગાળો આપતા દુકાનદારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ મથકે થી જાણવા મળતી માહિતી મુજબ ફરિયાદ ધુવ મેર પોતાના ભાઈઓ પૂર્વ અને કાંધલ સાથે દુકાને હાજર હતા ત્યારે સિંધુનગરના રહેવાસી પીયુષ ભરતભાઈ દવે ત્યાં આવ્યા હતા. પીયુષે ચા-નાસ્તો કર્યા બાદ ધુવે પૈસા માંગતા તેણે પૈસા આપવાની ના પાડી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. ધુવના ભાઈઓ પૂર્વ અને કાંધલે પીયુષને ગાળો બોલતા અટકાવવાનો પ્રયાસ કરતા તે ઉશ્કેરાઈ ગયો હતો. પીયુષે ધુવને મોઢા અને છાતી પર માર માર્યો હતો અને નજીક પડેલી લાકડી વડે તેના ડાબા હાથ પર પણ પ્રહાર કર્યો હતો. જ્યારે પૂર્વ વચ્ચે પડ્યો ત્યારે તેનું ગળું દબાવ્યું હતું અને કાંધલને પણ માર માર્યો હતો. આરોપી પીયુષે દુકાનમાં તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો અને પૈસાનો ગલ્લો તથા અન્ય સામાન ફેંકી દીધો હતો. દેકારો થતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા, જેથી પીયુષ હમણાં આવું છું કહીને ત્યાંથી જતો રહ્યો હતો. થોડીવાર બાદ પીયુષ હાથમાં છરી લઈને પાછો આવ્યો હતો અને ત્રણેય ભાઈઓ સામે છરી ફેરવી ધમકી આપી હતી કે જો તેને ફરીથી મફતમાં નાસ્તો નહીં આપવામાં આવે અથવા પોલીસ ફરિયાદ કરવામાં આવશે તો તેમને જાનથી મારી નાખશે. આ દરમિયાન કોઈએ 112 નંબર પર ફોન કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને જ્યાં ધુવે પીયુષ દવે વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 2:18 pm

'સાહેબ, જમીન-જાગીર હોય તો પણ લગ્ન થતા નથી...':15 લગ્ન કરનારી ચાંદની સાથે લગ્ન કરી લાખો રૂપિયા ગુમાવનાર બે યુવકોએ આપવીતી જણાવી, લૂંટેરી દુલ્હન ગેંગની મોડસ ઓપરેન્ડી ખુલ્લી પડી

સાહેબ, અમારા સમાજમાં લગ્ન માટે યુવક વિદેશમાં રહેતો હોવો જોઈએ. શહેરમાં મકાન હોવું જોઈએ, જમીન જાગીર હોવી જોઈએ ત્યારે માંડ લગ્ન માટે મેળ પડે. ભણેલા ગણેલા યુવકોના પણ લગ્ન નથી થતા એટલે અમારે આવી રીતે બહારની યુવતી સાથે લગ્ન કરવા પડે છે. ના છૂટકે કોઈ વિધવા, ડિવોર્સી મહિલાઓ સાથે મજબૂરીમાં લગ્ન કરવા પડે છે. અમૂકને તો જમીન જાગીર હોય તો પણ ઉંમર નીકળી જાય છે અને લગ્ન થતા નથી. આ શબ્દો છે 20 લોકોને શીશામાં ઉતારનાર લૂંટેરી દુલ્હન ગેંગનો ભોગ બનેલા ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના યુવકના. મહેસાણા પોલીસે લૂંટેરી દુલ્હન ગેંગને ઝડપી પાડ્યા બાદ એક બાદ એક ભોગ બનનારા યુવકો સામે આવી રહ્યા છે. મહેસાણા પોલીસના હાથે ઝડપાયેલી ચાંદની સાથે લગ્ન કરનાર દહેગામનો યુવક કઈ રીતે ફસાયો અને ગેંગે કઈ રીતે તેની પાસેથી રૂપિયા પડાવ્યા તેની સિલસિલાબંધ વિગતો ભાસ્કરને જણાવી. સાથે સળગતી સામાજિક સમસ્યાને લઈ પણ વાત કરી કે જેના કારણે યુવકો આ પ્રકારની ગેંગને ભોગ બની રહ્યા છે. બે અજાણી મહિલાઓએ યુવકના મોબાઈલ પર ચાંદનીના ફોટો મોકલ્યાદહેગામ ખાતે રહેતા 32 વર્ષીય યુવકે ભાસ્કરને પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, અમદાવાદના નરોડામાં રહેતા આરતી બહેન અને જાગૃતિ બહેને મારા નંબર પર ચાંદનીના ફોટા લગ્ન માટે મોકલ્યા હતા.મને ખબર નહોતી કે આ લોકો પાસે મારો બાયોડેટા ક્યાંથી આવ્યો? ચાંદનીનો ફોટો મને સારો લાગતા હું 1 ઓક્ટોબર 2025ના રોજ આરતી અને જાગૃતિ ને મળવા અમદાવાદના મેમકો ચાર રસ્તા પર ગયો હતો.જ્યાં ચાંદનીની મુલાકાત કરાવી હતી.ત્યાં ચાંદનીની માતા એક અન્ય યુવક જેણે ચાંદનીનો ભાઈ બતાવ્યો હતો હતો અને ચાંદનીની ગામ રાજસ્થાનનું ઝાલોર ગામ બતાવ્યું હતું ત્યારબાદ રાજુ ભાઈ આ લોકો સાથે મુલાકાત કરાવી હતી.યુવતી પસંદ પડી હોય સાંજે ઘરે આવીને મારા માતાપિતાને જાણ કરી હતી. ચાંદનીની પરિવારની આર્થિક સ્થિતિન નબળી હોય લગ્ન માટે ત્રણ લાખ માગ્યાભોગ બનનાર યુવકે વધુમાં જણાવ્યું હતું કે, 2 ઓક્ટોબરના રોજ આ લોકો મારા ઘરે આવ્યા હતા.જ્યાં રાજુ ભાઈએ કહ્યું હતું કે, લગ્નના 20 દિવસ બાદ હું નવા બાઇક શો રૂમના ઉદઘાટનમાં વ્યસ્ત છુ એટલે લગ્ન ઝડપી કરી લો.રાજુભાઇએ લગ્ન પહેલા એવી શરત મૂકી હતી કે, યુવતીના પરિવારની હાલત ખરાબ છે.ઘરે કમાવનાર કોઈ છે નહીં.પિતા હોસ્પિટલમાં દાખલ છે આવા બધા બહાના કાઢયા હતા અને અને લગ્ન પેટે 3 લાખ રૂપિયા ચાંદનીના પરિવારને આપવા પડશે એવું કહ્યું હતું.જેથી અમે રાજુભાઇના હાથમાં ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા. લગ્ન થયા પછી ચાંદની એક જ અઠવાડિયું રહીપૈસા લીધા બાદ ચાંદની સાથે્ 3 ઓક્ટોબરના રોજ લગ્ન કરાવવામાં આવ્યા હતા.ત્યારબાદ ચાંદની એક અઠવાડિયા સુધી ઘરે રહી હતી.આ દરમિયાન ચાંદનીએ અનેક બહાના કાઢ્યા હતા.કોઈ દિવસ માથું દુખે છે કોઈ દિવસ તબિયત ખરાબ નથી મારા પિતા બીમાર છે મારે ગમે ત્યારે ત્યાં જવું પડશે આવા બહાના કાઢયા કરતી હતી. ચાંદનીને તેડી ગયા બાદ બહાનાબાજી શરૂ કરવામાં આવી10 ઓક્ટોબરે ચાંદનીને તેડી જવાની વિધિ રાખી હતી.જેથી તેણીને તેડવા રાજુભાઇ આવ્યા હતા અને કહ્યું હતું કે ચાંદની પાંચ દિવસ અમદાવાદ રહેશે.ચાંદની એના ઘરે ગઈ એ દરમિયાન મારે સાદો ફોન અને સિમ આપ્યા હતા.વાતચીત થાય એ માટે પરંતુ અમદાવાદ ગયા બાદ ચાંદનીએ બહાના બાજી ચાલુ કરી હતી કોઈ દિવસ કહે ફોનમાં ચાર્જ રહેતું નથી કોઈ દિવસ કહે બેટરી ખરાબ થઈ ગઈ છે. 15 ઓક્ટોબર બેચરાજી પોલીસ ઘરે આવી સમગ્ર ફ્રોડ અંગે જાણ કરીફરિયાદી યુવકે ભાસ્કરને કહ્યું કે ચાંદનીના અમદાવાદ ગયા બાદ અમને એવુ હતું કે, એ પોતાની માતાના ઘરે છે. પરંતુ 15 ઓક્ટોબર જ્યારે બેચરાજી પોલીસ મારા ઘરે આવી ત્યારે અમને આ સમગ્ર ફ્રોડ બાબતે જાણ કરતા અમે સૌ કોઈ ચોકી ઉઠ્યા હતા.પોલીસ આવી ત્યારે ફ્રોડની જાણ થઈ હતી.પોલીસે મને કહ્યું ,તમારા નજીકના પોલીસ મથકમાં આ બાબતે જાણ કરી ફરિયાદ નોંધાવો જેથી ફરિયાદી ફરિયાદ નોંધાવવા ગયા એ દરમિયાન કોઈ એ ફરિયાદ લીધી નહિ બીજા દિવસે વકીલ મારફતે મેં ફરિયાદ મૂકી હતી.પરંતુ હજુ સુધી ફરિયાદ દાખલ થઈ નથી. 'ચાંદની પિયર ગઈ ત્યારે 4 તોલા સોનુ અને રૂપિયા લેતી ગઈ'ફરિયાદી એ કહ્યું, મારા ત્રણ લાખ રૂપિયા લગ્ન દરમિયાન ગયા છે.ત્યારબાદ મારા ઘરે આવ્યા બાદ કપડાં દાગીનાના 50 હજાર ગયા, ત્યારબાદ જ્યારે આ ચાંદની 10 તારીખે એના ઘરે જવાની હતી એ દરમિયાન કોઈને જાણ કર્યા વગર ચાર તોલા સોનુ અને 1 લાખ 35 હજાર મારા ઘરેથી ચોરી કરી લઈ ગઈ છે.એ ઘરમાં કોઈ ને ખબર નથી.જ્યારે પોલીસ અમારા ઘરે આવી ત્યારે અમને જાણ થતાં ઘરમાં તપાસ કરી ત્યારે જાણ થઈ. દહેગામના યુવક બાદ હવે વાત અમદાવાદના એક યુવકની જે પણ આ લૂંટેરી દુલ્હન ગેંગનો ભોગ બન્યો છે. અમદાવાદમાં કપડાની દુકાનમાં કામ કરતા યુવકને ફસાવ્યોઅમદાવાદમાં કપડાની દુકાનમાં કામ કરતા 32 વર્ષીય યુવકે પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, 2024માં એક લક્ષમી બહેન કરીને મહિલા હતી એ આ ચાંદની,રાજુભાઇ ચાંદનીની માતાને મારા ઘરે અમદાવાદ લઈ આવ્યા હતા.ત્યારબાદ મને યુવતી ગમતા રાજુભાઇ નામના વ્યક્તિએ લગ્ન માટે વાત કરી હતી.ત્યારબાદ આ ચાંદની રાજસ્થાનના ઝાલોર ગામની છે.પરિવાર ગરીબીમાં જીવે છે એવું કહ્યું હતું.તેમજ ચાંદનીના પિતા બીમાર છે લગ્ન માટે તમારે 2 લાખ આપવા પડશે એમ કહી લગ્નની વાત કરી હતી.જેથી યુવકે કહ્યું કે મારા પાસે હાલમાં 1 લાખ 70 હજાર રૂપિયા છે.બાકીના 30 હજાર પછી આપવાની વાત થઈ હતી. એક ઓફિસમાં લગ્નવિધિ કરી અને રૂ. 1.70 લાખ આપ્યા16 નવેમ્બર 2024 માં આ લોકો અમને અમદાવાદ એક ઓફિસમાં લઈ ગયા હતા ત્યાં અમારા લગ્ન કરાવ્યા હતા.ત્યારબાદ રાજુભાઈએ એક હોટેલમાં જમણવાર રાખ્યો હતો.આ જમણવારમાં પાંચ વ્યક્તિ અમારા પાંચ વ્યક્તિ યુવતી તરફથી હતા.આ દરમિયાન અમે હોટેલમાં રાજુભાઇને રૂ. 1.70 લાખ આપ્યા હતા એ દરમિયાન સબૂત માટે મારી માતાએ મોબાઈલમાં ફોટો પાડવાનું કહેતા રાજુભાઇએ ઝઘડો કર્યો હતો અને ફોટો પાડવા દીધો નહોતો. લગ્ન કર્યા બાદ યુવતી બે દિવસ જ ઘરે રોકાઈલગ્ન બાદ આ ચાંદની બે દિવસ મારા ઘરે રોકાઈ હતી.આ બે દિવસ દરમિયાન તેણે બહુ બહાનાબાજી કરી હતી.ઘડીકમાં માથું દુખે છે, ઘડીકમાં તબિયત સારી નથી આવા બહાના બનાવ્યા હતા.બે દિવસ બાદ રાજુભાઇ ગાડી લઈ ચાંદની ને તેડવા આવ્યા હતા. કારણ કે, ચાંદનીના પિતા બીમાર હતા એટલે તેઓ તેણીને લઈ ગયા હતા.ચાંદનીને મેં મારો સાદો ફોન આપ્યો હતો. યુવકે પૈસા પરત લેવા ફોન કર્યો તો દલાલે ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીચાંદનીના પિતા મરણ ગયા હોવાનું જાણવા મળતા મેં ચાંદનીના પિયર જવાની વાત કરી તો તેણે કહ્યું કેસ અમારા માં રિવાજ છે મરણ પ્રસંગમાં જમાઈ સાસરી ન આવે જેથી હું ત્યાં નહોતો ગયો.બહુ દિવસ થવા આવતા ચાંદનીને ફોન કરતા તેણે બહાનાબાજી ચાલું કરી હતી.ત્યારબાદ મેં રાજુભાઈને ફોન કરતા રાજુ ભાઈ એ પૈસા નહિ મળે અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી.ત્યારબાદ એક દિવસ ચાંદનીને ફોન કરતા તેણે કહું હતું કે હું પરત આવવાની નથી અને મારું ખેતર વેચાણ થાય એટલે પૈસા પરત આપી દઈશ. બેચરાજી પોલીસ અઠવાડિયા પહેલા ઘરે આવતા સમગ્ર ભાંડો ફૂટ્યોત્યારબાદ અમને એમ હતું કે તે પૈસા પરત આવશે પરંતુ અઠવાડિયા પહેલા બેચરાજી પોલીસ અમારા ઘરે આવી કહ્યું કે તમારા સાથે ફ્રોડ થયું છે.ત્યારે અમને સમગ્ર ઘટના અંગે જાણ થઈ હતી. શું છે સમગ્ર મામલો? ગુજરાતના અલગ અલગ જિલ્લામાં યુવકો સાથે લગ્ન કરી પૈસા પડાવનાર લૂંટેરી દુલ્હન ટોળકીને મહેસાણા પોલીસે ઝડપી પાડી છે. આરોપીની પૂછપરછ દરમિયાન પોલીસ પણ ચોકી ઉઠી હતી. ગેંગમાં જે ચાંદીની નામની યુવતી ઝડપાઈ છે તેને માત્ર 24 વર્ષની ઉંમરમાં 15 લગ્ન કર્યા હોવાનો ખુલાસો થયો છે. આ તમામ લોકો પાસેથી રોકડ અને દાગીના મળી 52 લાખ રૂપિયા પડાવાયા હતા. મહેસાણા પોલીસે ચાંદનીની સાથે અન્ય એક યુવતીને પણ ઝડપી પાડી છે તેને પણ ચાર લગ્ન કર્યા હોવાની વિગતો મળી છે. લગ્ન માટે કન્યાની તલાશ કરતા યુવકોને આ ટોળકી શોધી કાઢતી હતી. ત્યારબાદ ચોક્કસ રકમ લઈ યુવતીના તેની સાથે લગ્ન કરવામાં આવતા. લગ્નના થોડા જ દિવસોમાં યુવતી ત્યાંથી રફુચક્કર થઈ જતી. યુવક દ્વારા જ્યારે આ મામલે ફોન કરવામાં આવે અને પૈસા પરત માગવામાં આવે તો દુષ્કર્મ કેસમાં ફીટ કરવાની ધમકી આપતા. (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 2:17 pm

વાપીમાં નાણામંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં યુનિટી માર્ચ:સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે જિલ્લા કક્ષાની પદયાત્રા યોજાઈ

વલસાડ જિલ્લાના વાપી ખાતે નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની યુનિટી માર્ચ યોજાઈ હતી. ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે 'યુનિટી માર્ચ સરદાર ૧૫૦' અંતર્ગત આ પદયાત્રાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે પણ વિશેષ ઉપસ્થિતિ આપી હતી. મંત્રી કનુભાઈ દેસાઈએ યુનિટી માર્ચને પ્રસ્થાન કરાવતા જણાવ્યું હતું કે, સરદાર પટેલે અખંડ ભારત અને એક ભારતનું નિર્માણ કર્યું હતું. તેને શ્રેષ્ઠ ભારત બનાવવા માટે સમગ્ર દેશ એક હોવો જોઈએ અને સંવિધાન મુજબ ચાલવો અત્યંત જરૂરી છે. ભારતમાં વિવિધ ધર્મ અને સંસ્કૃતિ હોવા છતાં, તે વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા સરદાર પટેલને શ્રેષ્ઠ આદર પ્રદાન કર્યો છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, આઝાદી બાદ સરદાર પટેલે દેશના ૫૬૪ જેટલા રજવાડાઓને માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં ભારતમાં જોડી દેશને એક કર્યો હતો. સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર પણ સરદાર પટેલની જ દેન છે. દેશમાં સુશાસનની શરૂઆત પણ સરદાર પટેલે જ કરી હતી, તેથી તેમના એકતાના પથ પર દરેકે આગળ વધવું જોઈએ. આ પદયાત્રા વાપી મહાનગરપાલિકા ખાતેથી પ્રસ્થાન થઈ ઝંડા ચોક, ગાંધી સર્કલ, સેલવાસ ચાર રસ્તા, ભડક મોરા, સરદાર ચોક, અંબેમાતા મંદિર થઈ શ્યામજી કૃષ્ણવર્મા ચોક સુધી પહોંચી હતી. માર્ગમાં મહાનુભાવો દ્વારા વાપી સર્કિટ હાઉસ ખાતે યુનિટી રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પદયાત્રામાં લોકોએ સરદાર અમર રહોના નારા લગાવ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ રાજ્યોના પરંપરાગત પરિધાનમાં અને સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષામાં પ્લેકાર્ડ અને એકતાની થીમ સાથે ભાગ લીધો હતો. વાપી મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ, એનસીસી કેડેટ્સ અને ગુજરાત યોગ બોર્ડના સભ્યો સહિત અનેક લોકો આ પદયાત્રામાં જોડાયા હતા. કાર્યક્રમના અંતે, મંત્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી નિબંધ અને વકૃત્વ સ્પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત તમામ લોકોએ સ્વદેશી શપથ પણ ગ્રહણ કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 2:14 pm

લ્યો લોબો... ટ્રેક્ટરચાલકને હેલ્મેટનો ઈ-મેમો:અમદાવાદ ટ્રાફિક પોલીસે કેમેરા જોઈ રૂ. 500નો દંડ ફટકારી દીધો

અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે કાર્યવાહી કરી સ્થળ પર દંડ અથવા ઈ-મેમો આપવામાં આવે છે. ત્યારે થોડા દિવસ અગાઉ પોલીસે એક ટ્રેક્ટરચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ઇ-મેમો આપવામાં આવ્યો છે. પોલીસે આપેલો આ ઇ-મેમો હાલ સોશિયલ મીડિયામાં વાઇયરલ થયો છે. હવે ટ્રાફિક પોલીસે મેમો કોણે મોકલ્યો તેની શોધખોળ શરૂ કરી છે. વાહનના પ્રકારમાંફાર્મર ટ્રેક્ટર, દંડનું કારણ હેલ્મેટઅમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા 31 ઓક્ટોબર, 2025ના રોજ 9 વાગ્યાની આસપાસ એક ટ્રેક્ટરચાલક વિરુદ્ધમાં ઈ-મેમો ઇશ્યુ કરવામાં આવ્યો હતો. આ મેમોમાં વાહનનો પ્રકાર ફાર્મર ટ્રેક્ટર લખ્યું હતું અને નિયમના ભંગમાં હેલ્મેટ ન પહેર્યાનો ઉલ્લેખ હતો. દાણીલીમડા જંકશન પાસે કે ટ્રાફિક પોલીસ સ્ટેશનની હદમાં આ મેમો આપવામાં આવ્યો હતો. ટ્રેક્ટર ચાલકને હેલ્મેટના પહેરવા બદલ 500 રૂપિયાના દંડ ફટકારવામાં આવ્યો હતો. આ મેમો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 2:09 pm

‘BLOની કામગીરી શિક્ષકોની ફરજ છે, એ એમને કરવું જ પડશે’:‘ધીમી ગતિએ કામ ચાલે છે, 7 ફેબ્રુઆરી સુધીમાં મતદાર યાદી બહાર પાડવાની છે, ઝડપી કામ કરવું પડશે’ મંત્રી ઈશ્વરસિંહ પટેલ

નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યકક્ષાના પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. મંત્રી ઇશ્વરસિંહ પટેલે BLO (બૂથ લેવલ ઓફિસર)ની કામગીરીની ધીમી ગતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તમામ BLOને સહકાર આપી વહેલીતકે કામગીરી પૂર્ણ કરવા અપીલ કરી હતી. તેમણે સ્પષ્ટતા કરી કે, BLOની કામગીરી તેમની ફરજ છે અને તે તેમણે કરવું જ પડશે. 7 ફેબ્રુઆરી સુધીમાં મતદાર યાદી બહાર પાડવાની હોવાથી કામગીરી ઝડપી કરવી પડશે. આ બેઠકમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ BLOની કામગીરી અને શિક્ષકોને પડતી મુશ્કેલીઓ તેમજ જંગલના રસ્તાઓ, SIR સંબંધિત મુદ્દાઓ વિશે સવાલો ઉઠાવ્યાં હતા. ચૈતર વસાવાએ ખાસ રજૂઆત કરી હતી કે, BLOને કામગીરી બાબતે વધુ પડતું પ્રેશર ન આપવામાં આવે અને તેમની રજૂઆતોને સાંભળવામાં આવે. પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, BLOની કામગીરી ફરજિયાત છે, ત્યારે તેમણે મતદારોને પણ અપીલ કરી હતી કે તેઓ ચૂંટણી પંચની આ કામગીરીમાં સહકાર આપે, જેથી મતદાર યાદી સુધારણાનું કાર્ય સમયસર અને યોગ્ય રીતે પૂર્ણ થઈ શકે. આ ઉપરાંત, ચૈતર વસાવાએ મનરેગાની કામગીરી શરૂ કરવા અને બસો માટે બંધ થયેલા રસ્તાઓને ફરી શરૂ કરવા માટે પણ માગણી કરી હતી. ​​​​​​​​​​​​​​રસ્તાઓના પ્રશ્ન પર સ્પષ્ટતા કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, છ મહિના સુધી વરસાદ પડવાના કારણે રસ્તાઓ ડેમેજ થયા હતા અને તેનું રિપેરિંગ વહેલી તકે ચાલી રહ્યું છે. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર, તમામ ઉચ્ચ અધિકારીઓ, તેમજ ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખ અને જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 1:58 pm

ઓવરટાઈમ પર બમણું વેતન, મહિલાઓને નાઈટ શિફ્ટની છૂટ..: નવા લેબર કોડના 10 સૌથી મહત્ત્વપૂર્ણ લાભ

New Labour Code: ભારતમાં કામ કરતા દરેક કર્મચારી માટે હવે સન્માન અને સુરક્ષાની ગેરંટી નક્કી થઈ ગઈ છે. શ્રમ અને રોજગાર તેમજ યુવા અને ખેલ મંત્રી મનસુખ માંડવિયાએ 21 નવેમ્બરના રોજ જાહેરાત કરી કે દેશમાં નવા લેબર કોડ્સ (શ્રમ સંહિતા) લાગુ થઈ ગયા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ પગલાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કર્મચારીઓના હિતમાં ઉઠાવવામાં આવેલું મોટું પગલું ગણાવ્યું. મોદી સરકારે શ્રમ સુધારાઓના આ સૌથી મોટા પગલા હેઠળ, જૂના 29 શ્રમ કાયદાઓને સમાપ્ત કરીને 21 નવેમ્બરથી ચાર નવા લેબર કોડ્સ સમગ્ર દેશમાં લાગુ કર્યા છે. સરકારના મતે, આ ફેરફાર 'આત્મનિર્ભર ભારત'ની દિશામાં એક ઐતિહાસિક સુધારો છે, જે દેશની રોજગાર વ્યવસ્થા અને ઔદ્યોગિક પ્રણાલીને નવી વ્યાખ્યા આપશે.

ગુજરાત સમાચાર 22 Nov 2025 1:45 pm

સદ્દામ ગોડીલ ગેંગની મુશ્કેલીમાં વધારો, EDની ફરિયાદ:ગુજસીટોક બાદ હવે આર્થિક વ્યવહારોની ED તપાસ કરશે, USDT દ્વારા ટ્રાન્જેક્શનની શંકા

સદ્દામ ગોડીલ અને તેની ગેંગ સામે સુરતમાં ગુજસીટોક હેઠળ કાર્યવાહી થયા બાદ હવે તેમની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ ગેંગ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને સત્તાવાર તપાસ શરૂ કરી છે. ED હવે ગેંગ દ્વારા એકઠી કરવામાં આવેલી તમામ મિલકતો અને આર્થિક વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરશે. ED તપાસનું કેન્દ્રબિંદુસદ્દામ ગોડીલ ગેંગે અત્યાર સુધીમાં કેટલી મિલકત વસાવી છે. ગેંગ દ્વારા કરવામાં આવેલા તમામ શંકાસ્પદ ટ્રાન્જેક્શન, ગુનાહિત પ્રવૃત્તિઓથી મેળવેલા નાણાંનું ક્યાં અને કેવી રીતે રોકાણ કરાયું છે. USDT ટ્રાન્જેક્શનની વિગતો મેળવી તપાસ​​​​​​​પ્રાપ્ત માહિતી મુજબ, સદ્દામ ગોડીલ ગેંગના લોકો તેમના આર્થિક વ્યવહારોમાં યુએસડીટી ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરતા હતા. ગુનાહિત પ્રવૃત્તિઓમાંથી મેળવેલા નાણાં આ પદ્ધતિથી લેવામાં આવતા હતા. હવે ED આ તમામ USDT ટ્રાન્જેક્શનની વિગતો મેળવી આર્થિક ગેરરીતિની તપાસ કરશે. ગુજસીટોક હેઠળ કાર્યવાહીસદ્દામ ગોડીલ ગેંગ દ્વારા સુરત શહેરમાં ગરીબ અને વેપારી વર્ગના લોકોમાં આતંક ફેલાવવામાં આવ્યો હતો. સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ (દ્વારા આ ગેંગ વિરુદ્ધ કાર્યવાહી કરીને ગુજસીટોક હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કોની સામે ફરિયાદ?આ ગેંગના મુખ્ય સૂત્રધારો ઇમ્તિયાઝ ઉર્ફે સદ્દામ ગોડીલ, તેના ભાઈ ફૈસલ ગોડીલ, અને શાહિદ ગોડીલ સહિત અન્ય સભ્યો વિરુદ્ધ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ કરવા બદલ ગુજસીટોક લગાવવામાં આવ્યો છે. ગેંગનો ગુનાહિત ઇતિહાસઆ ગેંગ વિરુદ્ધ વર્ષ 2006થી અત્યાર સુધીમાં 13થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. મુખ્ય ગુનાઓમાં ખંડણી, ધાકધમકી, છેતરપિંડી, લૂંટ અને મારામારીનો સમાવેશ થાય છે. ગેંગના સભ્યો ધનિક અને સારા વ્યક્તિત્વ ધરાવતા લોકોને ટાર્ગેટ કરતા. સૌપ્રથમ તેમની સાથે સંબંધો બનાવીને, તેમની જમીન કે પ્રોપર્ટીની ડીલની વાતો કરતા. ત્યારબાદ જંત્રી ભાવ આપીને બાકીના પૈસા ન ચૂકવવા, અસામાજિક તત્વોને વચ્ચે નાખીને ખંડણીની માંગણી કરવી, પૈસા પડાવવા અને ધાકધમકી આપવી જેવી પ્રવૃત્તિઓ આચરતા હતા. આ ગેંગ વિરુદ્ધ કુલ 13 જેટલા ગુના દાખલ થયા છે. ગોડીલ નામના આરોપી વિરુદ્ધ મુંબઈમાં પણ ફરિયાદ નોંધાયેલી છે, જે સૂચવે છે કે આ આંતરરાજ્ય ગેંગ છે અને વિવિધ રાજ્યોમાં આવી પ્રવૃત્તિઓ કરતી હતી. છેલ્લા બે મહિનામાં જ તેમની વિરુદ્ધ છ જેટલા ગુના નોંધાયા છે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 1:42 pm

વડાલી પોલીસે NDPS ગુનાનો વોન્ટેડ આરોપી ઝડપ્યો:સાત મહિનાથી ફરાર દિનેશ ગમાર બસ સ્ટેન્ડ પાસેથી પકડાયો

સાબરકાંઠા જિલ્લાની વડાલી પોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ નોંધાયેલા ગાંજાના ગુનામાં છેલ્લા સાત મહિનાથી ફરાર આરોપી દિનેશભાઈ મણાભાઈ ગમારને ઝડપી પાડ્યો છે. આરોપીને વડાલી બસ સ્ટેન્ડ નજીકથી પકડવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દિનેશ ગમાર છોછર, તા. પોશીના, જિ. સાબરકાંઠાનો રહેવાસી છે અને તે વડાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગાંજાના કેસમાં વોન્ટેડ હતો. વડાલી પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.આર. પઢેરીયા પોતાના સ્ટાફ સાથે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, વોન્ટેડ આરોપી દિનેશ ગમાર વડાલી તરફ આવવાનો છે. આ બાતમીના આધારે પોલીસે વડાલી બસ સ્ટેન્ડ ખાતે વોચ ગોઠવી હતી. આરોપી આવતા જ પોલીસે તેને કોર્ડન કરીને પકડી પાડ્યો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 1:06 pm

રાપર પોલીસે બાદરગઢથી ગાંજા સાથે એક આરોપી પકડ્યો:2.76 લાખનો જથ્થો જપ્ત, NDPS એક્ટ હેઠળ કાર્યવાહી

રાપર પોલીસે બાદરગઢ ગામમાંથી ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 5.398 કિલોગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે, જેની કિંમત આશરે 2.76 લાખ રૂપિયા આંકવામાં આવી છે. આ બનાવથી પંથકમાં માદક પદાર્થના સેવનની વ્યાપકતા સામે આવી છે. રાપર પીઆઈ બી.જી. ડાંગરને મળેલી ખાનગી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. બાતમી હતી કે બાદરગઢ ગામના ભરત રામજી કોલીએ પોતાના ઘરની આગળના ભાગમાં ગાંજાના છોડ વાવ્યા છે. આ બાતમીના આધારે પોલીસે ભરત રામજી કોલીના ઘરે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન તેના ઘરની આગળથી ગાંજાના છોડ (મુદ્દામાલ) 5.398 કિલોગ્રામ મળી આવ્યા હતા. પોલીસે આરોપી ભરત રામજી કોલી (ઉંમર 28, રહે. બાદરગઢ, તા. રાપર, કચ્છ) ની ધરપકડ કરી તેના વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ-1985 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પોલીસ ઈન્સ્પેક્ટર બી.જી. ડાંગર, પો.સ.ઈ. આર.આર. અમલીયાર અને રાપર પોલીસ સ્ટાફના અન્ય કર્મચારીઓ જોડાયા હતા. આ કેસની વધુ તપાસ ખડીર બાલાસરના પીઆઈ એમ.એન. દવેને સોંપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 1:00 pm

સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીને લઇ બેઠક:કરમસદથી કેવડિયા સુધી રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું આયોજન, કલેક્ટરે અધિકારીઓને સૂચના આપી

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ૨૬ નવેમ્બરે કરમસદથી કેવડિયા સુધી રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રાના સુચારુ આયોજન અને અમલીકરણ માટે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. કલેક્ટર પ્રવીણ ચૌધરીએ પદયાત્રાને પર્યાવરણલક્ષી અને પ્લાસ્ટિકમુક્ત બનાવવાની હિમાયત કરી હતી. તેમણે સ્વચ્છતા જાળવવા પર ભાર મૂક્યો હતો. દેશભરમાંથી આવનારા પદયાત્રીઓને ધ્યાનમાં રાખીને પદયાત્રાનું અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરવા સમિતિના સભ્યોને સૂચના આપી હતી. તેમણે આણંદ જિલ્લાના આંકલાવ, નાવલી અને આસોદર ખાતે યોજાનારી જાહેર સભાઓ અને અન્ય કાર્યક્રમોની સમીક્ષા કરી હતી. ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓની સલામતીને ધ્યાનમાં રાખીને તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો. બેઠકમાં પદયાત્રાના રૂટ, પદયાત્રીઓ માટે મોબાઈલ ટોયલેટ, પીવાનું પાણી, ભોજન, આવાસ અને આરોગ્ય સુવિધાઓ જેવી બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. નિવાસી અધિક કલેક્ટર આર.એસ. દેસાઈએ રાષ્ટ્રીય પદયાત્રા માટે રચાયેલી સમિતિના નોડલ અધિકારીઓને તેમની કામગીરી અંગે જરૂરી સૂચનો કર્યા હતા. આ બેઠકમાં કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ, પદાધિકારીઓ અને રાષ્ટ્રીય એકતા પદયાત્રા સાથે સંકળાયેલી વિવિધ એજન્સીઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 12:59 pm

જામનગરમાં ઓવરબ્રિજમાં ગેપ મુદ્દે મનપાનો ખુલાસો:કોંગ્રેસના કોર્પોરેટરે સવાલો ઉઠાવતા મનપાના સિટી એન્જિનિયરે કહ્યું, 'ડિઝાઇન મુજબ ગેપ સુરક્ષિત છે'

જામનગરમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાયઓવર બ્રિજના ઉદ્ઘાટનના બે દિવસ પહેલાં તેના એક્સપાન્શન જોઈન્ટના ગેપ અંગે પ્રશ્નો ઉભા થયા હતા. આ મુદ્દે મહાનગરપાલિકાના સિટી એન્જિનિયરે ટેકનિકલ સ્પષ્ટીકરણ રજૂ કર્યું છે. કોંગ્રેસના મહિલા કોર્પોરેટર જનબબેન ખફીએ બ્રિજ પરના જોઈન્ટના ગેપ અંગે સવાલ ઉઠાવ્યો હતો. આ પછી મહાનગરપાલિકા દ્વારા આ અંગે વિગતવાર ખુલાસો કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના સ્પષ્ટીકરણ પત્રમાં જણાવાયું છે કે બ્રિજના એક્સપાન્શન જોઈન્ટ ગેપ સંબંધિત ઊભી થયેલી શંકાઓ અંગે ટેકનિકલ ખુલાસો પ્રસ્તુત કરવામાં આવે છે. બ્રિજ સ્ટ્રક્ચરમાં એક્સપાન્શન જોઈન્ટનું મુખ્ય કાર્ય તાપમાનના ફેરફારો, સંકોચન, ક્રીપ અને વાહન ભારને કારણે થતી લોન્ગીટ્યુડિનલ મૂવમેન્ટને શોષી લેવાનું છે. આ જોઈન્ટ્સ પ્રી-કાસ્ટ કોંક્રિટ સ્લેબ વચ્ચેના અંતરને નિયંત્રિત કરે છે. વર્તમાન જોઈન્ટ ગેપનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે અને તે ડિઝાઇન નોર્મ્સ મુજબ ઋતુગત પરિવર્તનને ધ્યાનમાં રાખીને નક્કી કરાયેલી ન્યૂનતમ અને મહત્તમ મૂવમેન્ટ રેન્જની સ્વીકાર્ય મર્યાદામાં આવે છે. નિરીક્ષણ દરમિયાન કોઈપણ પ્રકારની સ્ટ્રક્ચરલ ડિસટ્રેસ, બેરિંગ મિસઅલાઈનમેન્ટ, સ્લેબમાં તિરાડો અથવા અન્ય કોઈ અસામાન્ય ચિહ્નો જોવા મળ્યા નથી. આથી, વર્તમાન ગેપ ડિઝાઇન-નોર્મ્સ સાથે સુસંગત, કાર્યાત્મક રીતે સલામત અને સેવા-ક્ષમ છે. વધુમાં, બ્રિજના સંબંધિત સ્પાનનું લોડ ટેસ્ટિંગ IRC (ઇન્ડિયન રોડ્સ કોંગ્રેસ) માર્ગદર્શિકા મુજબ કરવામાં આવ્યું હતું. લોડ ટેસ્ટના પરિણામો દર્શાવે છે કે ડિફ્લેક્શન અને સ્ટ્રેઇન રીડિંગ્સ ડિઝાઇન મર્યાદામાં છે. રિકવરી રેટ 97% પ્રાપ્ત થયો છે, જે IRC દ્વારા નિર્ધારિત 90% ની સ્વીકાર્ય મર્યાદા કરતાં વધુ ઉત્તમ છે. આ ઉચ્ચ રિકવરી રેટ બ્રિજનું સ્ટ્રક્ચરલ પર્ફોર્મન્સ ઉત્તમ અને સુરક્ષિત હોવાનું સૂચવે છે. ઉપરોક્ત આધારે, બ્રિજની કાર્યક્ષમતા, સ્થિરતા અને સેવા-સુરક્ષા બાબતે કોઈ ચિંતાની જરૂર નથી. એક્સપાન્શન જોઈન્ટ ગેપ ડિઝાઇન મર્યાદામાં છે અને લોડ ટેસ્ટ પરિણામો સંપૂર્ણપણે સંતોષકારક છે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 12:57 pm

વડોદરામાં પ્રિન્સિપલ્સ કોંકલેવ 2025:રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રીએ કહ્યું: 'દેશમાં ડિજિટલ ફ્રોડ વધી રહ્યા છે, ત્યારે બાળકો સુધી તેની સમજ પહોંચાડવી જરૂરી બની જાય છે'

વડોદરા ICAI તેમજ વડોદરા WICASA દ્વારા આજે પ્રિન્સિપલ્સ કોંકલેવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે અને કાર્યક્રમમાં રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડૉ. મનીષાબેન વકીલ દ્વારા આ કાર્યક્રમનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. આ કોંકલેવનો મુખ્ય હેતુ પ્રિન્સિપાલ્સ, શિક્ષણવિદો અને કોમર્સ-ફાઇનાન્સ ક્ષેત્રના પ્રોફેશનલ્સને એક મંચ પર લાવીને કોમર્સ શિક્ષણના બદલાતા માળખા, નાણાકીય સાક્ષરતા અને વિદ્યાર્થીઓ માટેના કરિયર અવસર અંગે માર્ગદર્શન તથા ચર્ચા કરવાનો છે. આ ઉપરાંત સ્કૂલો કેવી રીતે વિધાર્થીઓને એકાઉન્ટિંગ, ફાઇનાન્સ અને મેનેજમેન્ટ ક્ષેત્રોમાં ઉજ્જવળ ભવિષ્ય તરફ માર્ગદર્શન આપી શકે તે અંગે પણ સમૃદ્ધ ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે વિકાસા ચેરપર્સન સમીર મહેતાએ જણાવ્યું હતું કે, આજે પ્રિન્સિપલ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે, આજકાલ બાળકોમાં ડિજિટલ યુઝ વધી ગયો છે. જેથી બાળકોને સ્કૂલ લેવલથી જ ડિજિટલ ફ્રોડ્સ અંગે અવેર કરવા જોઈએ, કારણ કે બાળકોના હાથમાં મોબાઈલ વધારે જોવા મળે છે. એમાં ઘણીવાર પૈસા ગુમાવવાનો વારો આવે છે, એના લીધે એમના પેરેન્ટ્સને વેઠવું પડે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, બાળકોને સ્કૂલ લેવલથી જ થોડું આના પ્રત્યેનું જ્ઞાન મળી જાય એ જરૂરી છે. અમે પ્રિન્સિપલ્સ અને સ્કૂલના ટીચર્સ સાથે મળીને એની ઉપર વિચાર વિમર્શ કરશું કે, કઈ રીતે સ્કૂલ લેવલ ઉપર બાળકોને આપણે એજ્યુકેટ કરી શકીએ છીએ. રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડૉ.મનિષાબેન વકીલે જણાવ્યું હતું કે, વડોદરાની ICAI બ્રાન્ચ દ્વારા એક સરસ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ કોન્ક્લેવમાં વડોદરામાંથી પધારેલા અલગ-અલગ સ્કૂલના પ્રિન્સિપાલ, ખાસ કરીને કોમર્સના પ્રિન્સિપાલ હોય, કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ્સના ઓનર્સ પણ આવ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આપણો દેશ ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહ્યો છે અને ડિજિટલ ફ્રોડ વધી રહ્યા છે, ત્યારે બાળકો સુધી તેની સમજ પહોંચાડવી જરૂરી બની જાય છે. જેમના થકી એમના પેરેન્ટ્સને પણ એજ્યુકેટ કરી શકાય છે. હું ICAIની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે કોન્ક્લેવમાંથી આઉટપુટ નીકળશે એ ક્યાંક ને ક્યાંક પોલિસી મેકર્સ પાસે આવે અને એ આપણા કોર્સમાં અને આપણા એજ્યુકેશનમાં આપણે વિષય તરીકે ઇન્ક્લુડ કરી શકીશું.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 12:57 pm

ભચાઉના લાખાપરમાં ડૂબી જવાથી બે કિશોરોનાં મોત:ભેંસો ચરાવવા ગયેલા કિશોરોના ચંપલ તળાવ કાંઠેથી મળ્યા ને શોધખોળ શરૂ થઇ, ત્રણ કલાક બાદ મૃતદેહ મળ્યા

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના કાંઠા વિસ્તારમાં લાખાપર ગામમાં આજે એક દુઃખદ ઘટના બની છે. જ્યાં ગામના માલધારી પરિવારના બે કિશોર ગઈકાલે ભેંસો ચારવવા સિમ વિસ્તારમાં ગયા હતા. મોડી રાત સુધી કિશોરો પરત ન આવતા શોધખોળ હાથ ધરાઈ હતી. આ દરમિયાન આજે વહેલી સવારે કિશોરોની ચંપલ તળાવ કાંઠેથી મળી આવતા તંત્રને જાણ કરાઈ હતી. ફાયર વિભાગની ટીમોએ ત્રણ કલાકની શોધખોળ બાદ બંનેના મૃતદેહ બહાર કાઢયા છે. સમયસર ઘરે ન આવતા શોધખોળ શરૂ કરાઇઆ દુ:ખદ ઘટના અંગે મળતી માહિતી મુજબ લાખાપર ગામના માલધારી પરિવારના 14 વર્ષીય કમલેશ બેચારભાઇ કોળી અને 13 વર્ષીય દલસુખ હરખાભાઇ કોળી નામના બે કિશોરો ગઇકાલે ઘરેથી રાબેતા મુજબ પોતાની ભેંસો સહિતનો માલઢોર લઇને સીમ વિસ્તારમાં ચરાવવા ગયા હતા. રોજના સમયે ઘરે ન આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. મોડી રાત સુધી કોઇ ભાળ ન મળી, સવારે ચંપલ મળ્યાપરિવાજનો અને ગ્રામજનોએ મોડી રાત સુધી સમગ્ર સીમ વિસ્તાર ખુંદીને બંને કિશોરોની શોધખોળ કરી હતી, પરંતું બંનેની કોઇ ભાળ નહોતી મળી. આ દરમિયાન આજે વહેલી સવારે ગામના તળાવના કાંઠે બંને કિશોકોના ચંપલ જોવા મળતા બંને કિશોરો તળાવામાં ડૂબી ગયા હોવાની શંકાઓ ઉપજી હતી. ફાયર વિભાગે તળાવમાંથી બંનેના મૃતદેહ બહાર કાઢ્યાબંને કિશોરો તળાવમાં ડૂબી ગયા હોવાની શંકા જતાં ગ્રામજનોએ તુરંત તંત્રમાં જાણ કરતાં પોલીસ કાફલા સાથે ફાયર વિભાગની ટીમો લાખાપર ગામ પહોંચી હતી અને કડકડતી ઠંડીમાં બંને કિશોરોની તળાવમાં શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન એક કિશોરનો મૃતદેહ બે કલાક બાદ અને બીજા કિશોરનો મૃતદેહ ત્રણ કલાકે મળી આવ્યો હતો. 'અમને જાણ થતાં અમારી ટીમો ગામમાં પહોંચી હતી'આ અંગે ભચાઉ મામલતદાર એમ.કે. રાજપૂત સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, કિશોરો ગુમ થયા હોવાની અને એમના ચંપલ તળાવ કાંઠેથી મળ્યા હોવાની અમને જાણ થતાં અમારી ટીમ લાખાપર પહોંચી હતી અને શોધખોળ કરતા બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. 'કડકડતી ઠંડી વચ્ચે બાળકોની શોધખોળ કરાઇ'આ અંગે વાઢીયા જૂથ ગ્રામપંચાયતના સરપંચ કૃષ્ણપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોળી પરિવારના કિશોરો ગઈકાલથી ગુમ થયા હતા. ભારે શોધખોળ બાદ આજે બંને કિશોરોના તળાવમાં ડૂબી ગયા હોવાની જાણ થતા, પોલીસમાં જાણ કરાઈ હતી. બચાવ માટે નજીકના શિકારપુર ગામના મુસ્લિમ યુવકોની પણ મદદ લેવાઈ હતી. આ યુવકોએ કડકડતી ઠંડી વચ્ચે પાણીમાં બાળકોની શોધ કરી હતી. સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયોગામની સીમમાં માલઢોર ચરાવવા ગયેલા બંને કિશોરોના તળાવમાં ડૂબીને મોત થતાં બંનેના કિશોરોના પરિવારજનો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. જ્યારે સમગ્ર ગામમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 12:40 pm

વડોદરામાં BLO સહાયકનું મોત:આજે સવારે ફરજ દરમિયાન ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકીનું મોત, ગોરવા મહિલા ITIમાં નોકરી કરતા હતા

વડોદરા શહેરની પ્રતાપ સ્કૂલમાં બીએએલઓ સહાયક તરીકેની કામગીરી કરતા એક મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. મૃતક મહિલાનું નામ ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી છે, જેઓ ગોરવા મહિલા આઈટીઆઈ (ITI)ખાતે નોકરી કરતા હતા અને આજે સવારે તેમની ફરજ પર હતા ત્યારે વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા જયાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતાં. મળતી માહિતી મુજબ, ઉષાબેન સોલંકી મૂળ નર્મદા જિલ્લાના તિલકવાડાના વતની હતા અને હાલમાં વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં રહેતા હતા. આ કરુણ ઘટનાથી તેમના સહકર્મીઓ અને પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે. અમે સમાચાર સતત અપડેટ કરી રહ્યા છીએ......

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 12:21 pm

હાલોલ-ગોધરા બાયપાસ પર ગંભીર અકસ્માત:ટ્રેલર-બાઇક અથડામણમાં બે યુવકના ઘટનાસ્થળે મોત, એક ગંભીર

પંચમહાલ જિલ્લાના હાલોલ-ગોધરા બાયપાસ રોડ પર એમજી મોટર્સ કંપની પાસે ટ્રેલર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઇક પર સવાર ત્રણ યુવકો પૈકી બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે વડોદરા રીફર કરવામાં આવ્યો હતો. મૃત્યુ પામેલા યુવકોમાં હાલોલના રસુલપુરના નગીનભાઈ રાઠવા અને અન્ય એક અજાણ્યા યુવકનો સમાવેશ થાય છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકની ઓળખ વડોદરાના સાવલી પાસે મામલતદાર કચેરી નજીક રહેતા વિજયભાઈ હસમુખભાઈ ભોઈ તરીકે થઈ છે. વિજય ભોઈને 108 એમ્બ્યુલન્સ દ્વારા હાલોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી વધુ સારવાર માટે તેને વડોદરા રીફર કરાયો છે. તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત અંગે હાલોલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 11:58 am

જામનગરમાં બે બહેનો પર પાડોશીનો હુમલો:જૂની અદાવતમાં એકને છરી મારી, બીજીએ ડરીને ફિનાઈલ પીધું; બંને હોસ્પિટલમાં દાખલ

જામનગરના વાઘેરવાડા વિસ્તારમાં જૂની અદાવતને કારણે બે બહેનો પર પાડોશીએ હુમલો કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનામાં એક બહેનને છરીના ઘા વાગ્યા હતા, જ્યારે બીજી બહેને ધમકીઓથી ડરીને ફિનાઈલ પી લીધું હતું. બંને બહેનોને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વાઘેરવાડા વિસ્તારમાં રહેતી 30 વર્ષીય નૂરજહાબેન ઇમરાનભાઈ ભાયાએ તાજેતરમાં પોતાના ઘેર ફિનાઈલ પી લીધું હતું. તેમને તાત્કાલિક જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તેમની મોટી બહેન મેમુનાબેન પર પણ હુમલો થયો હતો. પોલીસ ફરિયાદ મુજબ, તેમના જ મકાનના નીચેના ભાગે રહેતા અને તેમના માસીજી સાસુના દીકરા અશરફ અનવર ભાયાએ મેમુનાબેન પર છરી વડે હુમલો કર્યો હતો. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, નૂરજહાબેનનો આરોપી અશરફની માતા સાથે અગાઉ ઝઘડો થયો હતો. આ મનદુઃખ રાખીને અશરફે ગઈકાલે નૂરજહાબેનને માર મારવાનું શરૂ કર્યું હતું. જ્યારે નૂરજહાબેને પોતાની મોટી બહેન મેમુનાબેનને બોલાવી, ત્યારે મેમુનાબેન વચ્ચે છોડાવવા પડતા અશરફે તેમના પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલા બાદ અશરફે બંને બહેનોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ધમકીથી ગભરાઈને નૂરજહાબેને ફિનાઈલ પી લીધું હતું. હાલ બંને બહેનો જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને પોલીસ હુમલાખોર આરોપી અશરફ ભાયાને શોધી રહી છે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 11:46 am

આર્મીમેનનું ફેક ઈન્સ્ટા ID બનાવી યુવતી સાથેનો ફોટો પોસ્ટ કર્યો:મિત્રની જાણ બાદ તપાસ કરતા બે ફેક અકાઉન્ટ મળી આવ્યાં; સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદમાં ફરજ બજાવતા આર્મીમેનનું અજાણ્યા વ્યક્તિએ ફેક ઈન્સ્ટાગ્રામ આઇડી બનાવ્યું હતું. એક નહીં, પરંતુ 2 અલગ-અલગ ફેક આઇડી બનાવવામાં આવ્યા હતા, જેમાં આર્મીમેન સાથે અજાણી યુવતીનો ફોટો મર્જ કરીને પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેમના મિત્ર અને મિત્રની પત્ની સાથેનો ફોટો પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ અંગે આર્મીમેને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. અજાણી મહિલાનો આર્મીમેન સાથે ફોટો એડિટ કરી પ્રોફાઇલમાં મૂક્યોમૂળ પંચમહાલના 31 વર્ષીય યુવક બે વર્ષથી ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવે છે. હાલમાં આર્મીમેન શાહીબાગ આર્મી હોસ્પિટલમાં ફરજ બજાવે છે. આર્મીમેનના નામનું અજાણી વ્યક્તિએ ઈન્સ્ટાગ્રામમાં ફેક એકાઉન્ટ બનાવ્યું હતું, જેમાં તેમનો જ પ્રોફાઈલ ફોટો રાખવામાં આવ્યો હતો. આ અંગે આર્મીમેનના મિત્રએ તેમને જાણ કરી હતી. બે ત્રણ દિવસ બાદ ફરીથી જણાવ્યું હતું કે, તેમના નામની બીજી પણ ઈન્સ્ટાગ્રામ આઈડી બની છે. ફેક આઇડી પર આર્મીમેન સાથે કોઈ અજાણી મહિલાનો ફોટો એડિટ કરીને પ્રોફાઇલમાં મૂકવામાં આવ્યો છે. એટલું જ નહીં આ ફોટો પોસ્ટ પણ કર્યો હતો. બીજા દિવસે મિત્ર અને તેની પત્ની સાથેનો ફોટો એડિટ કરી મુક્યોથોડા દિવસ બાદ ફરીથી ઈન્સ્ટાગ્રામ આઈડી પર આર્મીમેનની સાથે તેમના મિત્ર અને મિત્રની પત્ની આમ ત્રણેયના ફોટા મર્જ કરીને પોસ્ટ કરવામાં આવ્યા હતા. ફેક આઈડી બાબતે અને ફોટા મર્જ કરીને પોસ્ટ કરવા બદલ આર્મીમેને અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ સાયબર ક્રાઇમ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 11:45 am

વાંકાનેર હાઈવે પર ટ્રક અકસ્માત:પતિ સાથે બાઈક પર જતી આધેડ મહિલાનું ટ્રકની અડફેટે મોત

વાંકાનેર નજીક નેશનલ હાઈવે પર એક અકસ્માત સર્જાયો હતો. એક ટ્રક ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારતા આધેડ મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પતિને ઈજાઓ થઈ હતી. આ ઘટના વાંકાનેરથી મોરબી તરફ જતા નેશનલ હાઈવે રોડ પર જીનપરા જકાતનાકા પાસે આવેલી હરસિદ્ધિ હોટલ સામે બની હતી. આધેડ દંપતી બાઈક પર પસાર થઈ રહ્યું હતું ત્યારે ટ્રકે તેમને અડફેટે લીધા હતા. મહિલાના માથા અને છાતીના ભાગ પરથી ટ્રકના વ્હીલ ફરી વળતા તેમનું તાત્કાલિક મૃત્યુ થયું હતું. મૃતક મહિલાનું નામ શારદાબેન પ્રવીણભાઈ સારલા (ઉંમર 55) હતું, જેઓ વાંકાનેરના વેલનાથપરા વિસ્તારમાં રહેતા હતા. તેમના પતિ પ્રવીણભાઈ સારલા બાઈક નંબર GJ 3 EM 0668 ચલાવી રહ્યા હતા. આ અકસ્માત અંગે મૃતક મહિલાના દીકરા ભરતભાઈ પ્રવીણભાઈ સારલા (ઉંમર 31) એ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, અકસ્માતમાં પ્રવીણભાઈ સારલાને કપાળ, જમણી આંખ પાસે, જમણા પડખામાં અને જમણા પગમાં ઈજાઓ થઈ હતી. ટ્રક નંબર GJ 11 Y 9466 નો ચાલક અકસ્માત બાદ પોતાનો ટ્રક લઈને નાસી છૂટ્યો હતો. પોલીસે ગુનો નોંધી આરોપી ટ્રક ચાલકને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 11:39 am

આજે 4473 ઉમેદવારને સરકારી નોકરીના નિમણૂકપત્ર અપાશે:ગાંધીનગર મહાત્મા મંદિરમાં 4 વાગ્યે સમારોહ, હજારો પરિવારોમાં ખુશીની લાગણી જોવા મળશે

રાજ્ય સરકારના વિવિધ વિભાગોની ભરતીમાં પસંદ થયેલા 4473 ઉમેદવારોને આજે શનિવારે નિમણૂકપત્ર એનાયત કરાશે. આ ભવ્ય સમારોહ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સાંજે 4 વાગ્યે યોજાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહેશે અને નવા પસંદગી પામેલ 4473 ઉમેદવારોને નિમણૂકપત્રો એનાયત કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે, સરકારી નોકરી માટે લાંબા સમય બાદ યોજાયેલા આ કાર્યક્રમથી હજારો પરિવારોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. રાજ્ય સરકાર દ્વારા પારદર્શક ભરતી પ્રક્રિયાથી યુવાનોને રોજગારની તકો પૂરી પાડવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 11:30 am

નલિયા 10.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું મથક:કચ્છમાં ઠંડીનો પ્રકોપ યથાવત, લોકોને ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ

કચ્છમાં શિયાળાની પકડ જામી રહી છે, જ્યાં નલિયા 10.8 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન સાથે આજે પણ રાજ્યનું સૌથી ઠંડું મથક રહ્યું છે. સમગ્ર જિલ્લામાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. નલિયામાં સતત બીજા દિવસે લઘુતમ તાપમાન 10.8 ડિગ્રી નોંધાયું છે, જે એકલ આંકની નજીક છે. આ સાથે નલિયા રાજ્યના શીત મથકોની યાદીમાં અગ્રેસર રહ્યું છે. હવામાન વિભાગના સાત દિવસના વર્તારા મુજબ, લઘુતમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો આંશિક વધારો થવાની શક્યતા છે, જેનાથી ઠંડીમાં થોડી રાહત મળી શકે છે. જિલ્લામાં ખાસ કરીને મોડી સાંજથી વહેલી સવાર સુધી ઠંડીનો વધુ અનુભવ થતાં લોકોને ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી રહી છે. જોકે, નલિયામાં ગઈકાલે મહત્તમ તાપમાન 30 ડિગ્રી નોંધાતા દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થયો હતો અને લોકો પંખાનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા, જે વાતાવરણમાં વિષમતા દર્શાવે છે. જિલ્લા મથક ભુજમાં લઘુતમ તાપમાન નજીવા વધારા સાથે 15.9 ડિગ્રીએ પહોંચ્યું છે. અંજાર અને ગાંધીધામમાં પણ લઘુતમ તાપમાન 12 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે. સમગ્ર કચ્છ જિલ્લામાં ક્યાંક ઠંડી તો કોઈ સ્થળે બપોરના સમયે તીવ્ર તાપનો અનુભવ થઈ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 11:26 am

પાટણમાંથી 4821 કિલો શંકાસ્પદ ઘી-તેલ સીઝ:માવજત ફૂડ પ્રોડક્ટ્સના ગોડાઉનમાંથી 11 લાખથી વધુનો જથ્થો જપ્ત

પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને ખોરાક તથા ઔષધ નિયમન તંત્ર દ્વારા પાટણમાં ભેળસેળ વિરોધી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં 4821 કિલો શંકાસ્પદ ઘી અને તેલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે, જેની કુલ કિંમત ₹11,87,272 આંકવામાં આવી છે. આ પગલું જનસ્વાસ્થ્યની સુરક્ષા માટે મહત્વપૂર્ણ મનાય છે. તા. 21 નવેમ્બરના રોજ LCB અને ખોરાક તથા ઔષધ નિયમન તંત્ર, પાટણની ટીમે સંયુક્ત રીતે માવજત ફૂડ પ્રોડક્ટ્સ (Mavjat Food Products) પર દરોડો પાડ્યો હતો. આ પેઢીના પ્રોપ્રાયટર મોદી પ્રકાશકુમાર વ્રજલાલ છે અને તે Royal Business Park, Highway Road, Mandotri Road, Patan ખાતે ગોડાઉન નંબર 11 અને J-17 માં સ્થિત છે. તપાસ દરમિયાન શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તપાસમાં 1,576.88 કિલો ઘી અને 3,245 કિલો ભેળસેળયુક્ત તેલ મળી આવ્યું હતું, જેનો કુલ જથ્થો 4,821 કિલો થાય છે. શંકાસ્પદ જણાતા, અધિકારીઓએ આ સમગ્ર જથ્થો સીઝ કર્યો હતો. કાર્યવાહી દરમિયાન ઘી અને તેલના કુલ 10 નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાં તેલના 5 અને ઘીના 5 નમૂનાઓનો સમાવેશ થાય છે. આ તમામ નમૂનાઓને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ, 2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 11:04 am

બોસ્વાનાની રફ હીરાની હરાજી હવે સીધી સુરત ડાયમંડ બુર્સમાં થશે:ખાનગી કંપનીઓ અને ચેમ્બર વચ્ચે બેઠક, ટેરિફની અસરથી વેપારને વેગ આપવા નિર્ણય

અમેરિકા દ્વારા ભારતીય વેપાર પર લાદવામાં આવેલા ટેરિફની અસરને પગલે સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વૈશ્વિક વેપારને વેગ આપવા માટે મોટી કવાયત હાથ ધરવામાં આવી છે. આ કવાયતના ભાગરૂપે, હીરાની રફના વેપારનું મુખ્ય કેન્દ્ર દુબઈને બદલે સીધું સુરત બને તે માટે બોસ્વાના સાથે મહત્ત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી છે. આ ચર્ચાઓના નક્કર પરિણામ સ્વરૂપે, હવે બોસ્વાનાની માઇનિંગમાંથી નીકળતી રફ હીરાની હરાજી આગામી દિવસોમાં સુરત ડાયમંડ બુર્સ ખાતે જ કરવામાં આવે તેવી ચર્ચા કરવામાં આવી છે. બોસ્વાનાની માઇનિંગમાંથી નીકળતા રફ હીરાને સીધી સુરતમાં હરાજીસુરત ચેમ્બરનું એક પ્રતિનિધિ મંડળ તાજેતરમાં બોસ્વાનાની મુલાકાતે ગયું હતું. આ મુલાકાતનો મુખ્ય હેતુ બોસ્વાનાની માઇનિંગમાંથી નીકળતાં રફ હીરાને સીધી સુરતમાં હરાજી માટે લાવવાનો હતો. બોસ્વાનાની રફ હીરામાં 70 ટકા હિસ્સો ખાનગી કંપનીઓ પાસે હોય છે, જેની હરાજી મોટાભાગે દુબઈમાં થતી હતી. પરંતુ હવે, સુરત ચેમ્બર સાથેની ચર્ચામાં ખાનગી કંપનીના જવાબદારોએ સ્પષ્ટપણે સુરતમાં હરાજી કરવા માટેની તૈયારી બતાવી દીધી છે. ઉદ્યોગકારોને રફ હીરાની ખરીદી માટે વિદેશ જવાની જરૂર નહીં પડેઆ નિર્ણય સુરતના હીરા ઉદ્યોગકારો માટે એક ખૂબ મોટી રાહત સમાન છે. હવે ઉદ્યોગકારોને રફ હીરાની ખરીદી માટે વિદેશ જવાની જરૂર નહીં પડે, પરંતુ ઘરઆંગણે જ વિશ્વભરની ગુણવત્તાયુક્ત રફ હીરાની ખરીદી કરવાની વ્યવસ્થા ઊભી થઈ છે. આનાથી હીરા ઉદ્યોગને સીધો અને મોટો ફાયદો થશે. અન્ય વેપાર અને કાપડ ઉદ્યોગને પણ તકહીરા ઉપરાંત, પ્રતિનિધિ મંડળે બોસ્વાના મારફતે ભારત સાથે સોલાર અને કોલસાના વેપારની શક્યતાઓ અંગે પણ ચર્ચા કરી છે. આના કારણે ભારત અને બોસ્વાના વચ્ચેના વેપાર સંબંધો વધુ મજબૂત બનશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, જો ભારત અને બોસ્વાના વચ્ચે ટ્રેડ ડીલ કરવામાં આવે તો સુરતના કાપડ ઉદ્યોગને પણ વિપુલ તક મળી શકે છે. વેપારની તકો ઊભી થઈહાલમાં બોસ્વાના પર 22 ટકાનો ટેરિફ લાગુ પડે છે. જો ટ્રેડ ડીલ થાય તો, ભારતમાં બનેલું કાપડ બોસ્વાના મોકલીને ત્યાંથી અન્ય દેશોમાં મોકલવાથી આ ટેરિફનો મોટો ફાયદો મળી શકે છે. વળી, હાલમાં બોસ્વાનાના બજારમાં બાંગ્લાદેશ અને ચાઇનાનું જે કાપડ આવે છે, તેના બદલે ભારતનું કાપડ સરળતાથી સ્થાન મેળવી શકે તેવી વેપારની તકો ઊભી થઈ છે. સુરત ચેમ્બર દ્વારા શરૂ કરાયેલી આ પહેલથી સુરત માત્ર વિશ્વના હીરા કટિંગ અને પોલિશિંગનું જ નહીં, પણ રફ હીરાની હરાજીનું પણ એક વૈશ્વિક કેન્દ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 11:03 am

1.50 લાખની લાંચ લેતાં પોલીસ કોન્સ્ટેબલ સહિત એક શખ્સ ઝડપાયો:વિસ્તરણ અધિકારીએ નોકરીમાં પાછા લેવા અને બાકી પગાર ચૂકવવા 2 લાખની લાંચ માગી, બે ફરાર

ભાવનગરમાં ACBએ સફળ ટ્રેપ ગોઠવી શિહોર તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી સહિત ચાર શખ્સોને લાંચની કાર્યવાહી હાથ ધરી હતી, નોકરીમાં પાછા લેવા અને બાકી પગાર ચૂકવવા માટે 2 લાખ રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી, જેમાંથી 1.50 લાખ રૂપિયા સ્વીકારતા બે આરોપીઓને રંગેહાથ પકડી પાડવામાં આવ્યા હતા. બે આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે. વિસ્તરણ અધિકારીએ 2 લાખની લાંચ માગીઆ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ફરિયાદીને ક્લસ્ટર કો-ઓર્ડિનેટરની નોકરીમાં ફરીથી પાછા લેવા, તેમનો બાકી પગાર ચૂકવવા અને પોલીસ ફરિયાદ ન કરવા માટે આરોપી દશરથસિંહ પાંચાભાઈ ચૌહાણ (વિસ્તરણ અધિકારી, વર્ગ-3) એ 2 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ સહિત એક શખ્સ 1.50 લાખની લાંચ લેતા ઝડપાયોએસીબીએ ફરિયાદના આધારે લાંચનું છટકું ગોઠવ્યું હતું. છટકા દરમિયાન આરોપી દશરથસિંહ ચૌહાણે ફરિયાદીના મિત્ર સાથે વાતચીત કરી લાંચના નાણાં આરોપીઓ રુતુરાજસિંહ, જીગર તથા વિરેન્દ્રસિંહ મારફતે આપવાનું જણાવ્યું હતું. આથી, અગ્રવાલ આંખની હોસ્પિટલના પ્રથમ માળે ગોઠવેલી ટ્રેપમાં આરોપી રુતુરાજસિંહ ધીરુભાઈ પરમાર (પોલીસ કોન્સ્ટેબલ, વર્ગ-3) અને આરોપી જીગરભાઈ જયંતિભાઈ ઠક્કર (ખાનગી વ્યક્તિ)એ 1.50 લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. વિસ્તરણ અધિકારી અને તેનો મળતીયો ફરારજ્યારે દશરથસિંહ પાંચાભાઈ ચૌહાણ (વિસ્તરણ અધિકારી) અને વિરેન્દ્રસિંહ પ્રહલાદસિંહ ગોહેલ (ખાનગી વ્યક્તિ)ને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે, આ કાર્યવાહી ડી.એ. ચૌધરી, પો.ઇન્સ. ગાંધીનગર એ.સી.બી. પો.સ્ટે. દ્વારા કરવામાં આવી હતી, અને સુપરવિઝન અધિકારી તરીકે ડી.એ. ચૌધરી, ઇ. મદદનીશ નિયામક, એ.સી.બી. ગાંધીનગર એકમ હતા.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 11:02 am

ખેડૂતોને મગફળી વેચાણ માટે ન લાવવા માર્કેટયાર્ડની સૂચના:હિંમતનગર માર્કેટયાર્ડમાં વાહનોનો ભરાવો ઘટ્યો; મગફળીનો ભાવ રૂ. 1000થી રૂ. 1652 બોલાયો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માર્કેટયાર્ડમાં છેલ્લા એક સપ્તાહથી મગફળીની ભારે આવકને કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી. આ ભરાવો ઘટાડવા માટે માર્કેટયાર્ડ દ્વારા આજે ખેડૂતોને મગફળી વેચાણ માટે ન લાવવા સૂચના આપવામાં આવી હતી, જેના પરિણામે ભરાવો ઓછો થયો છે. છેલ્લા એક સપ્તાહમાં માર્કેટયાર્ડમાં અંદાજે સાડા ત્રણ લાખ મગફળીની બોરીની આવક નોંધાઈ છે. આજે મગફળીનો ભાવ રૂ. 1000થી રૂ. 1652 બોલાયો હતો. હરાજી સવારે 8.30 વાગ્યે શરૂ થઈ હતી અને બપોરે 1.30 વાગ્યા સુધી ચાલશે. હિંમતનગર માર્કેટયાર્ડના સેક્રેટરી સિદ્ધરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને મગફળી ન લાવવાની સૂચનાને કારણે શુક્રવારે માર્કેટયાર્ડમાં ભરાયેલા વાહનો ખાલી થઈ ગયા હતા. આજે બહાર ઊભેલા ખેડૂતોના વાહનોને અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો, જેનાથી ભરાવો ઓછો થયો છે અને માર્કેટયાર્ડ રોડ પરની લાઈનો પણ સમાપ્ત થઈ ગઈ છે. તેમણે ઉમેર્યું કે સોમવારથી રાબેતા મુજબ ખરીદી ચાલુ રહેશે. આજે માર્કેટયાર્ડમાં 400થી વધુ વાહનો હાજર હતા.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 10:46 am

સોલાર પેનલના મોટા ઓર્ડરનો ખેલ:વાવોલના વેપારી દંપતીને 2 લાખનો ચુનો લગાવી ઠગ ફરાર; ઓનલાઈન પૈસા મેળવી ફોન બંધ કરી દીધો

ગાંધીનગરના વાવોલ વિસ્તારમાં સોલાર પેનલનો વ્યવસાય કરતા એક દંપતી સાથે ધંધાકીય વિશ્વાસ કેળવી અમદાવાદની કંપનીના ઠગ કર્મચારીએ 580 પેનલ આપવાના બહાને બે લાખથી વધુની ઓનલાઈન ઠગાઈ આચરવા આવતા સેક્ટર 7 પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી પાસેથી 580 સોલાર પેનલ ખરીદવાનું નક્કી કર્યું હતુંગાંધીનગરના વાવોલ વૈદેહી-1માં રહેતા આનંદસિંહ મફતલાલ ડાભલ તેમના પત્ની હેતલબેન સાથે સોલાર પેનલનું કામ છેલ્લા ત્રણ વર્ષથી કરે છે. ગત 1 જુલાઈના રોજ હેતલબેને કેશસ્ક્વેર નામની સોલાર પેનલની કંપનીનો કોન્ટેક્ટ કરતા ભાગ્યેશ અકબરી (રહે. નવજીવન એપાર્ટમેન્ટ, પાલડી) સાથે વાતચીત થઈ હતી. બાદમાં ભાગ્યેશ અકબરી સાથે 580 સોલાર પેનલ ખરીદવા માટેનું નક્કી કરી 4 જુલાઈના રોજ 50 હજાર ઓનલાઈન મોકલી આપ્યા હતા. જોકે, ઓનલાઈન પેમેન્ટમાં રતનપુરી ગોસ્વામીનું નામ આવતુ હોવાથી ભાવેશને જાણ કરી હતી. એ વખતે તેણે કંપનીનો સ્ટ્રક્ચરનો માણસ છે તેનો નંબર હોવાનો ખુલાસો કર્યો હતો. જેના ઉપર વિશ્વાસ રાખીને 5 જુલાઈના રોજ 1 લાખ, 9 જુલાઇના રોજ 52,800 એમ જુદા-જુદા હપ્તામાં કુલ રૂ. 2,02,800 ઓનલાઈન ફોન પેથી મોકલી આપ્યા હતા. આરોપીએ ફોન પણ બંધ કરી દીધોબાદમાં ભાવેશે શિવમ એનર્જીસ કંપનીમાંથી 580 પેનલ મોકલી આપવાની ખાત્રી આપી હતી. 10 જુલાઈના રોજ ભાવેશ વાવોલ આવ્યો હતો, જેને લઈને આનંદસિંહ મોટા ચિલોડા ખાતે અન્ય એક ગ્રાહકને સોલાર પેનલ માટે મળવા લઈ ગયા હતા. બાદમાં ભાવેશ તેમને હોટેલ લીલા ખાતે ઉતારી ફોક્સ વેગન કંપનીની નેવી બ્લ્યુ કલરની કારમાં રવાના થઈ ગયો હતો. જે બાદથી તેનો મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો હતો. દંપતીને છેતરપિંડીની જાણ થતાં ફરિયાદ નોંધાવીઆથી આનંદસિંહે કેશસ્ક્વેર કંપની ખાતે જઈ તપાસ કરતા જાણવા મળ્યું કે, ભાગ્યેશ અકબરી પહેલા નોકરી કરતો હતો. આખરે પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થતા આનંદસિંહની ફરિયાદના આધારે સેક્ટર 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 10:45 am

વાંકાનેરના મહિકામાં ત્રણ ભાઈએ ઝેર પીધું, એકનું મોત:લીઝ વિવાદમાં મહિલા સરપંચના ભાઈ સહિત પાંચ સામે ફરિયાદ

વાંકાનેરના મહિકા ગામે નદીના કાંઠે આવેલી વાડીમાં ખનીજ લીઝના વિવાદને કારણે ત્રણ પિતરાઈ ભાઈઓએ ઝેરી દવા પી લીધી હતી. આ ઘટનામાં એક યુવાન યસનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, જેમાં ગામના મહિલા સરપંચના ભાઈ અને લીઝ ધારકનો સમાવેશ થાય છે. મહિકા ગામના રહેવાસી વિનોદભાઈ ધરમશીભાઈ બાંભણીયા (ઉંમર 53)એ આ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે સમઢીયાળાના ગોબરભાઈ ભરવાડ, કોઠીના વિઠ્ઠલભાઈ મોતીભાઈ ચાવડા અને તેમના પુત્ર ભરત, મહિકાના હનીફભાઈ (મહિલા સરપંચના ભાઈ) અને લીઝ ધારક હેમેશભાઈ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. ફરિયાદ મુજબ, ગત 19 નવેમ્બરના રોજ સવારે 9 વાગ્યાના અરસામાં ફરિયાદીના પુત્રો કલ્પેશ અને વિશાલ તથા ભાઈનો પુત્ર યસ તેમની મહિકા ગામની નદી કાંઠે આવેલી વાડીએ હતા. હેમેશભાઈ પટેલને મહિકા ગામની નદીના કાંઠે ખનીજ લીઝ મંજૂર થયેલી છે, જે બાબતે અગાઉથી મનદુખ ચાલતું હતું. તે દિવસે ગોબરભાઈ ભરવાડ લોડર અને અલ્ટો ગાડી લઈને વાડી પાસેથી પસાર થઈ રહ્યા હતા. ફરિયાદીના પુત્રો કલ્પેશ, વિશાલ અને યસે તેમને ખેતર વચ્ચેથી વાહન ન ચલાવવા જણાવ્યું હતું. આ બાબતે ઉશ્કેરાઈને ગોબરભાઈએ ત્રણેય યુવાનો સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. તેમણે કલ્પેશ અને યસને ઢીકાપાટુનો માર મારી શરીરે ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટના બાદ ગોબરભાઈ, વિઠ્ઠલભાઈ અને તેમના પુત્ર ભરત હાથમાં લાકડાના ધોકા લઈને ત્યાં આવ્યા હતા. ત્રણેય યુવાનોને લાગ્યું કે તેમને મારી નાખવામાં આવશે, જેથી ડરના માર્યા તેમણે વાડીમાં પડેલી ખેતીમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ફરિયાદીના ભાઈના પુત્ર યસનું રાજકોટ ખાતે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે યુવાનોની સારવાર ચાલી રહી છે. ફરિયાદીએ વધુમાં જણાવ્યું કે, આ ઘટનાના આશરે પંદરેક દિવસ પહેલા પણ ગામના મહિલા સરપંચના ભાઈ હનીફભાઈ અને લીઝ ધારક હેમેશભાઈ પટેલ તેમની વાડીએ આવ્યા હતા. ત્યારે તેમણે જમીન ખાલી કરી નાખવા અને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવાની ધમકી આપી હતી. આધેડ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડ કરવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 10:41 am

ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ વધ્યો:ભરૂચ સહિત રાજ્યમાં લઘુત્તમ તાપમાન ઘટવાની હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં શિયાળાનો પ્રકોપ વધ્યો છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી છે. વહેલી સવારે અને મોડી રાત્રે ફૂંકાતા ઠંડા પવનોને કારણે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ઠંડીના પ્રભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, આજે પણ રાજ્યમાં ઠંડીની અસર યથાવત્ રહેશે. પૂર્વ દિશામાંથી પવનની ગતિ વધવાને કારણે મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો નજીવો વધારો જોવા મળી શકે છે. જોકે, હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીની તીવ્રતા વધુ અનુભવાશે તેવી આગાહી કરી છે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 10:39 am

ગણદેવીના નીલકંઠ મહાદેવ મંદિરમાં ચોરી, CCTV:મધરાતે આવેલો શખ્સ પહેલાં પગે લાગ્યો ને બાદમાં પીપળા નીચેનું શિવલિંગ લઇને ગાયબ

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ઊંડાચ ગામમાં આવેલ નીલકંઠ મહાદેવ મંદિરમાંથી શિવલિંગની ચોરી થઈ છે. આ ઘટના મોડી રાત્રે બની હતી અને સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. રાઘવ ફળિયામાં આવેલા આ મંદિર પરિસરમાં પીપળાના ઝાડ નીચે સ્થાપિત શિવલિંગને અજાણ્યા ઈસમો ગાડીમાં આવીને ચોરી ગયા હતા. વહેલી સવારે ગ્રામજનો મંદિરે દર્શન કરવા આવતા શિવલિંગ ગાયબ જોઈને ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. ગ્રામજનોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 10:31 am

હત્યા કેસમાં સજા ભોગવી ચૂકેલો ચોર ઝડપાયો:અરવલ્લી SOGએ ચોરીના સાધનો, બાઇક સાથે પકડ્યો

અરવલ્લી જિલ્લા SOGએ હત્યાના ગુનામાં સજા ભોગવી ચૂકેલા એક રીઢા ચોરને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ચોરીમાં વપરાતા સાધનો, એક કાર અને ચોરીનું બાઇક મળી આવ્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ આપેલી માહિતી અનુસાર, ગત 19 તારીખે SOG પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન એક શંકાસ્પદ કારને રોકવામાં આવી હતી. કારની તપાસ કરતાં તેમાંથી ચોરીમાં ઉપયોગમાં લેવાતા સળિયા સહિતનું સાહિત્ય મળી આવ્યું હતું. પોલીસે કારમાં સવાર આરોપી રૂપસિંહ (સરદારજી)ને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે રૂપસિંહ એક ડોક્ટરની હત્યાના કેસમાં સજા ભોગવીને આવ્યો છે. તે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના અલગ-અલગ શહેરોમાં ચોરીના ગુનાઓને અંજામ આપી રહ્યો હતો. તેની પાસેથી ગાંધીનગરથી ચોરી કરાયેલું એક બાઇક પણ મળી આવ્યું છે. પોલીસે રૂપસિંહ, ચોરીનું સાહિત્ય, કાર અને ચોરી કરાયેલું બાઇક જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 9:53 am

વાપી રેલવે સ્ટેશન પર બંધ એસ્કેલેટર અચાનક રિવર્સ ચાલ્યું:નીચેથી ઉપર જઈ રહેલા મુસાફરો અટવાઈને એક બીજા પર પડ્યા, સદનસીબે મોટી દુર્ઘટના ટળી

વલસાડ જિલ્લાના વાપી રેલવે સ્ટેશન પર શુક્રવારે સાંજે એક ચોંકાવનારી ઘટના બની હતી. પ્લેટફોર્મ નંબર-1 પર બંધ પડેલું એસ્કેલેટર અચાનક ઊંધી દિશામાં ચાલવા લાગ્યું હતું. આના કારણે નીચેથી ઉપર જઈ રહેલા મુસાફરો અટવાઈ ગયા હતા અને એકબીજા પર પડી જવાના બનાવો બન્યા હતા. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના બની ન હતી અને અનેક મુસાફરો અકસ્માતથી બચી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, સાંજે લગભગ 6 વાગ્યે એસ્કેલેટર બંધ હોવાથી મુસાફરો પગથિયાં ચઢી રહ્યા હતા. તે સમયે થોડી સેકન્ડ માટે એસ્કેલેટર અચાનક ચાલુ થયું અને ઉપર જવાને બદલે નીચેની દિશામાં દોડવા લાગ્યું. આ અચાનક બનેલી ઘટનાથી મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો અને કેટલાક મુસાફરો નીચે ઉતરવા દોડ્યા હતા. જોકે, થોડી જ સેકન્ડમાં એસ્કેલેટર ફરી બંધ થઈ જતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. વાપી સ્ટેશન પર કુલ ત્રણ એસ્કેલેટર છે, પરંતુ તે વારંવાર બંધ રહેવાની ફરિયાદો સામાન્ય છે. શુક્રવારે પણ આ એસ્કેલેટર બંધ હતું, જેના કારણે મુસાફરોને મુશ્કેલી પડી રહી હતી. સાંજે બનેલી આ રિવર્સ ચાલવાની ઘટનાએ મુસાફરોમાં રોષ અને ચિંતા વધારી દીધી છે. રેલવેના એક અધિકારીએ આ ઘટના અંગે જણાવ્યું કે, બપોરના સમયે એસ્કેલેટરનું મેન્ટેનન્સ કામ ચાલી રહ્યું હતું, પરંતુ વીજ પુરવઠો બંધ થવાથી કામ અધૂરું રહ્યું હતું. તેમણે ઉમેર્યું કે એસ્કેલેટર બંધ હોવાની સૂચના લગાવવામાં આવી હતી, જે મુસાફરો દ્વારા હટાવી દેવામાં આવી હોવાનું જણાઈ રહ્યું છે. શક્યતા છે કે ટેસ્ટિંગ દરમિયાન આ તકલીફ ઊભી થઈ હશે. આ ઘટનાને કારણે મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, મોટી દુર્ઘટના ટળી જતાં સૌએ રાહત અનુભવી હતી. આ ગડબડ માટે ચોક્કસ કોણ જવાબદાર છે તે અંગેની તપાસ બાદ જ સ્પષ્ટતા થશે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 9:49 am

મંત્રી કુંવરજી બાવળીયાએ અમરેલી ITIની મુલાકાત લીધી:વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી કૌશલ્ય વિકાસ કાર્યક્રમોની સમીક્ષા કરી

રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીયાએ અમરેલીની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)ની મુલાકાત લીધી હતી. તેમણે સંસ્થામાં ચાલતા ફીટર, ઇલેક્ટ્રિશિયન અને કોમ્પ્યુટર લેબ (કોપા) સહિતના વિવિધ ટ્રેડની મુલાકાત લઈને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. મંત્રીએ વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ, શિક્ષણ કાર્ય અને નિયમિતતા અંગે પ્રશ્નો પૂછ્યા હતા. ITI અમરેલીના વિશાળ કેમ્પસમાં ફીટર, ઇલેક્ટ્રિક અને વાયરમેન જેવા વિવિધ ટ્રેડ કોર્સ ચાલી રહ્યા છે. અહીં જિલ્લાના વિદ્યાર્થીઓ થિયરી અને પ્રેક્ટિકલ અભ્યાસ દ્વારા વિવિધ કૌશલ્યો વિકસાવી રહ્યા છે. આ સંસ્થા વિદ્યાર્થીઓને સ્વરોજગારી મળી રહે તેવા વિવિધ ટ્રેડ કોર્સમાં શિક્ષણ પ્રદાન કરે છે. મંત્રીની ઉપસ્થિતિમાં અમરેલી ITI ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા રોજગાર કચેરી અને ITI અમરેલીના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીએ મિશન મંગલમ હેઠળ કાર્યરત સખી મંડળો અને જિલ્લા રોજગાર કચેરી દ્વારા આયોજિત રોજગાર મેળા સહિતની સંબંધિત બાબતોની વિસ્તૃત જાણકારી મેળવી હતી. તેમણે અધિકારીઓને જરૂરી દિશાદર્શન અને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓમાં કૌશલ્ય વિકાસને વેગ મળી રહ્યો છે. સ્વરોજગારીના સ્વપ્નને સાકાર કરતા વિવિધ ટ્રેડ કોર્સની આજે બજારમાં ઘણી માંગ છે. ઔદ્યોગિક એકમોમાં જે પ્રકારના કૌશલ્યની જરૂરિયાત છે, તે પ્રકારે ITI સંસ્થાઓ ખાતે વિવિધ ટ્રેડ કોર્સ કાર્યરત છે. યુવાનોને રોજગારીની વધુ તકો મળે તે માટે સમયાંતરે અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવે છે. તેમણે અમરેલી જિલ્લામાં સ્વસહાય જૂથની બહેનોને રોજગારી મળી રહે તે માટે ગ્રામહાટ શરૂ કરવા, બહેનોમાં જાગૃતિ લાવવા અને યુવાનોને ITI સંસ્થાઓમાં ચાલતા વિવિધ ટ્રેડ કોર્સની જાણકારી તથા માર્ગદર્શન મળી રહે તે માટે જનજાગૃતિ સહિતના મુદ્દાઓ પર ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ મુલાકાત વેળાએ અમરેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જાડેજા, જિલ્લા રોજગાર અધિકારી, ITI સંસ્થાના આચાર્ય તેજલબેન ભટ્ટ અને સંસ્થાના સર્વે સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 9:47 am

નલિયા 10.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુ:બે દિવસમાં 2થી 3 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા; સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ

હવામાન વિભાગ ગઈકાલે રાજ્યના મોટાભાગના શહેરોમાં રાત્રિના અને વહેલી સવારના તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, એટલે કે ઠંડીમાં વધારો થયો છે. સૌથી ઓછું ન્યૂનતમ તાપમાન નલિયા ખાતે 10.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ત્યારબાદ વડોદરા જ્યાં ન્યૂનતમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 16.3 ડિગ્રી સેલ્સિયસ અને પોરબંદરમાં 15.6 ડિગ્રી સેલ્સિયસ અને રાજકોટ 14.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં બેવડી ઋતુનો અનુભવ સમગ્ર ગુજરાતમાં સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું અને ન્યૂનતમ તાપમાન પણ સામાન્ય કરતાં નીચું રહેતા રાજ્યમાં ઠંડકનો અનુભવ વધી રહ્યો છે. જ્યારે સૌથી ઓછું ઠંડુ ઓખા જ્યાં 22.8 ડિગ્રી અને દ્વારકામાં ન્યૂનતમ તાપમાન 19.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 16.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને મહત્તમ તાપમાન 30.5 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. એટલે કહી શકાય કે, અમદાવાદ શહેરમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને રાત્રે ઠંડીનો માહોલ અને બપોરે ગરમી અનુભવાઈ રહી છે. રાજ્યમાં હાલમાં બેવડી સીઝનનો અનુભવ થશે. રાજ્યમા મોટાભાગના જિલ્લાઓનું તાપમાન સામાન્ય કરતા નીચું નોંધાયું છે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 9:38 am

અમદાવાદમાં PI સામે છેડતીની ફરિયાદ:બરકતઅલી ચાવડાએ લિફ્ટમાં યુવતીના ખભે હાથ મૂકી અડપલાં કર્યાનો આરોપ

અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર બરકત અલી ચાવડા સામે છેડતીની ફરિયાદ નોંધાઈ છે.ચાવડાએ એપાર્ટમેન્ટમાં યુવતીના ખાફે હાથ મૂકી કર્યા હોવાનો યુવતીએ આક્ષેપ કર્યો હતો વેજલપુર પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસ ઇન્સ્પેક્ટર બરકતઅલી ચાવડા સામે 19 વર્ષીય યુવતીએ શારીરિક અડપલાં કર્યા હોવાનો આરોપ મૂક્યો છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે PI ચાવડાએ લિફ્ટમાં તેની સાથે અડપલાં કર્યા હતા અને તેના ખભા પર હાથ મૂક્યો હતો. 19 વર્ષીય યુવતી લિફ્ટમાં જઈ રહી હતી ત્યારે પીઆઇ બરકઅલી ચાવડાએ યુવતીને લિફ્ટમાં અડપલા કર્યા હતા. ગભરાઇ ગયેલી યુવતીએ અભયમ હેલ્પલાઇનને ફોન કર્યો હતો. ટીમે કાઉન્સેલિંગ કર્યા બાદ યુવતીએ આ મામલે પોલીસ ફરિયાદ કરી છે. ચાવડાએ યુવતીના ખભા પર હાથ મૂકીને અડપલાં કર્યાબરકત અલી ચાવડા લિફ્ટમાં જઈ રહ્યા હતાં, ત્યારે એક યુવતી પણ સાથે હતી લિફ્ટ બંધ થતા જ ચાવડાએ યુવતીના ખભા પર હાથ મૂકીને અડપલાં કર્યા હતાં. લિફ્ટ છઠ્ઠા માળે પહોંચી તે સમયે બીજા વ્યક્તિઓ લિફ્ટમાં આવતા બરકત ચાવડા લિફ્ટમાંથી બહાર નિકળી ગયો હતો. ગભરાઈ ગયેલી યુવતીએ 181નો સંપર્ક કર્યોબીજી બાજુ ગભરાઈ ગયેલી યુવતીએ તાત્કાલિક 181નો સંપર્ક કર્યો હતો. અભયમની ટીમે યુવતીને પૂછપરછ કરી કાયદાકીય માહિતી આપી હતી. બાદમાં યુવતીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પીઆઈ અગાઉ પણ આ પ્રકારના વિવાદમાં આવી ચૂક્યાબરકત અલી ચાવડા હાલમાં ગાંધીનગર કંટ્રોલરૂમમાં ફરજ બજાવે છે. અગાઉ તેઓ અમદાવાદ એસીબી અને રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂક્યા છે. પીઆઈ ચાવડા અગાઉ પણ આ પ્રકારના વિવાદમાં આવી ચૂક્યા છે. વેજલપુર પોલીસ સ્ટેશનના પીઆઇ રણજીતસિંહ ચૌહાણ જણાવ્યું હતું કે ચાવડા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં આ મામલે તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 9:12 am

પાટણ યુનિ.માં દિવ્યાંગો માટે સ્પેશિયલ કોર્સ કમિટી રચાઈ:હાઈકોર્ટના નિર્દેશ બાદ બોર્ડ ઓફ ડીન્સની બેઠકમાં નિર્ણય

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણની બોર્ડ ઓફ ડીન્સની બેઠક કુલપતિ ડો. કિશોર પોરીયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં હાઈકોર્ટના નિર્દેશ મુજબ દિવ્યાંગો માટે સ્નાતક કક્ષાએ સ્પેશિયલ કોર્સ શરૂ કરવા માટે એક કમિટીની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) અંતર્ગત યુનિવર્સિટી દ્વારા ૩૦ કલાકના શોર્ટ ટર્મ સ્કિલ ડેવલપમેન્ટ કોર્સ શરૂ કરવાનો પણ નિર્ણય લેવાયો હતો. આ કોર્સ માટે બોર્ડ ઓફ મલ્ટી ડિસિપ્લિનરીની રચના કરવામાં આવશે. બેઠકમાં પીએચડી ગાઈડ માટે યુજી અને પીજી સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં પીજીની માન્યતા અંગેની ચર્ચા બાદ ૧૧ પીજી અધ્યાપકો (અનુસ્નાતક શિક્ષકો)ની બાબતને માન્યતા આપવામાં આવી હતી. નવી કોલેજો શરૂ કરવા માટે લેટર ઓફ ઇન્ટેન્ટ અંતર્ગત ૩૭ અરજીઓ મળી હતી. તેમાંથી ૩૫ કોલેજો અંગે બેઠકમાં ચર્ચા કરીને બોર્ડ ઓફ ડીન કક્ષાએ નિયત કરાયેલ વિષયો મુજબ સરકારમાં મોકલી આપવાનું નક્કી કરાયું હતું. આ ઉપરાંત, એક સાયન્સ અને બે આર્ટસ એમ કુલ ત્રણ મહિલા કોલેજને મંજૂરી આપવા માટે સરકારને ભલામણ કરવાનો પણ નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં કુલપતિ ડો. કે.સી. પોરીયા, રજીસ્ટ્રાર ડો. રોહિત દેસાઈ તેમજ વિવિધ ફેકલ્ટીના ડીન ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 9:09 am

પાટણનું આઇકોનિક બસ સ્ટેશન શરૂ થવાની તૈયારી:રૂટ પરથી કાચા પાકા અને લારી-ગલ્લા, વાહનોના દબાણો હટાવાયા

પાટણ શહેરનું નવું આઇકોનિક બસ સ્ટેશન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. મુસાફરોની અવરજવર સરળ બને અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી, વહીવટી તંત્ર, પાટણ નગરપાલિકા અને પોલીસે બસ સ્ટેશનના રૂટ પરના દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરી છે. આ કાર્યવાહીમાં 70 થી 80 જેટલા કાચા-પાકા લારી-ગલ્લાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. કલેક્ટરના આદેશથી આધુનિક બસ સ્ટેશનના લોકાર્પણ પૂર્વે આ કામગીરી કરવામાં આવી હતી. બસની અવરજવરના મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર સરળતાથી થઈ શકે તે સુનિશ્ચિત કરવા માટે વહીવટી તંત્ર, નગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે મોડી સાંજે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. બસ સ્ટેશન તરફ જતા માર્ગો પર છેલ્લા ઘણા સમયથી કાચા-પાકા દબાણો, લારી-ગલ્લા અને અન્ય પથારાવાળાઓએ ટ્રાફિકમાં અવરોધ ઊભો કર્યો હતો. આ દબાણોના કારણે બસ અને અન્ય વાહનોની અવરજવર મુશ્કેલ બની રહી હતી, જેનાથી લોકોને અગવડતા પડતી હતી. આ બાબતને ગંભીરતાથી લઈને, વહીવટી તંત્ર અને નગરપાલિકાની ટીમે પોલીસના સહયોગથી બસ સ્ટેશનના રૂટ પરના તમામ દબાણો હટાવ્યા હતા. આ કાર્યવાહીમાં માર્ગોની બંને બાજુએ અનધિકૃત રીતે ગોઠવાયેલા લારી-ગલ્લા, પતરાના શેડ અને અન્ય દબાણકર્તા વસ્તુઓ દૂર કરવામાં આવી હતી. દબાણનો કાટમાળ ટ્રેક્ટર મારફતે પાલિકા ખાતે લઈ જવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 9:04 am

જામનગરમાં રાષ્ટ્રીય કક્ષાની મોકડ્રિલ સફળતાપૂર્વક સંપન્ન:જિલ્લા વહીવટી તંત્રની આપત્તિ વ્યવસ્થાપનની સજ્જતા પુરવાર થઈ

ભારત સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA)ના સંયુક્ત ઉપક્રમે જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 21 નવેમ્બરના રોજ રિલાયન્સ રિફાઇનરી ખાતે રાષ્ટ્રીય કક્ષાની ફાયર ડિઝાસ્ટર મેનેજમેન્ટ મોકડ્રિલ સફળતાપૂર્વક યોજાઈ હતી. આ ડ્રિલમાં જિલ્લા વહીવટી તંત્રની સંકટના સમયે ઝડપી અને અસરકારક પ્રતિભાવ આપવાની ક્ષમતાનું પરીક્ષણ કરાયું હતું. રિલાયન્સ રિફાઇનરીના ટેન્ક ફાર્મમાં આગ લાગવાની કાલ્પનિક પરિસ્થિતિને અનુલક્ષીને આ ડ્રિલ યોજાઈ હતી. તેનો મુખ્ય ઉદ્દેશ વહીવટીતંત્ર, ઉદ્યોગ અને વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચેના સંકલન અને સહકારની સજ્જતા ચકાસવાનો હતો. દિલ્હી સ્થિત નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ઉચ્ચ અધિકારી આદિત્યકુમાર અને તેમની ટીમ સમગ્ર ડ્રિલ દરમિયાન ઉપસ્થિત રહી હતી. આ કવાયતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સંબંધિત વિભાગો, ભારતીય સેનાની ત્રણેય પાંખ, કોસ્ટ ગાર્ડ, NDRF, SDRF અને અન્ય સુરક્ષા એજન્સીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો. ડ્રિલ દરમિયાન તમામ વિભાગોએ આફતની પરિસ્થિતિમાં અસરકારક પ્રતિભાવ, ત્વરિત બચાવ કામગીરી અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટેની કવાયત હાથ ધરી હતી, જે સફળ રહી હતી. ગાંધીનગર સ્થિત સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ યુનિટ ખાતેથી અગ્ર સચિવ જયંતિ રવિ તેમજ રાહત કમિશનર આલોક પાંડેએ તંત્રને સતત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જામનગર ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતેથી જિલ્લા કલેકટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ અને સંલગ્ન વિભાગોના અધિકારીઓએ ઉપસ્થિત રહી સમગ્ર ડ્રિલનું સંકલન કર્યું હતું. રિલાયન્સ રિફાઇનરી ખાતે નિવાસી અધિક કલેકટર બી.એન. ખેર તથા લાલપુર પ્રાંત અધિકારી સંજયસિંહ અસવારે ઇનસીડન્ટ કમાન્ડર તરીકેની ફરજો બજાવી હતી. મોકડ્રિલના સફળ સમાપન બાદ જિલ્લા કલેકટર કેતન ઠક્કરે સંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે, આ મોકડ્રિલ દ્વારા જિલ્લા વહીવટી તંત્રની કોઈપણ પ્રકારના ડિઝાસ્ટરને પહોંચી વળવાની ક્ષમતા પુરવાર થઈ છે. તેમણે ઉમેર્યું કે, 2019 પછી યોજાયેલી આ રાષ્ટ્રીય કક્ષાની ડ્રિલ એક મહત્વપૂર્ણ અનુભવ બની રહી છે, જે આગામી સમયમાં આપત્તિ વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે. આ સફળ મોકડ્રિલ દર્શાવે છે કે જામનગર જિલ્લા વહીવટી તંત્ર કોઈપણ મોટા ઔદ્યોગિક કે રાસાયણિક અકસ્માતનો સામનો કરવા માટે માત્ર તૈયાર જ નથી, પરંતુ વિવિધ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરીય એજન્સીઓ સાથે ઉત્તમ સંકલન કરવાની ક્ષમતા પણ ધરાવે છે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 9:03 am

દુબઈ ટૂર પેકેજમાં છેતરપિંડી કરીને પિતા પુત્રએ ધમકી આપી:'મારી સાથે પંગો ન લેતા, નહીં તો તમારા હાથ-પગ તોડાવી નાખીશ', ફરિયાદ નોંધાઈ

વડોદરામાં કન્સ્ટ્રક્શનના વ્યવસાયી યુવક પાસેથી દુબઈના પેકેજ ઉપરાંત 6.24 લાખ રૂપિયા લીધા બાદ રૂપિયા પરત કર્યા ન હતા અને હાથ પગ તોડવી નાખવાની ધમકી આપી હતી. આ મામલે વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે જેને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. દુબઈ ટૂરમાં લઈ જઈને છેતરપિંડી આચરીવડોદરાના હરણી વિસ્તારમાં રહેતા બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાયી મહેશકુમાર બળવંતસિંહ ગઢવીએ વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે આરોપી રાજીવ પારેખ અને તેના પુત્ર આર્યન રાજીવ પારેખે તેમના સમગ્ર પરિવારને દુબઈ ખાતે ટૂર પર લઈ જવા માટે 8.85 લાખ રૂપિયાનું પેકેજ કોટેશન આપ્યું હતું. જેમાં ફ્લાઇટ ટિકિટ, હોટલ રોકાણ, સ્થળાંતર અને હરવા-ફરવાના તમામ ખર્ચાનો સમાવેશ થતો હતો. આરોપીએ 6.24 લાખ ઉઘરાવ્યાઆ કોટેશનના આધારે ફરિયાદીએ આરોપીઓને એડવાન્સમાં 8.69 લાખ રૂપિયા આપી દીધા હતા. આરોપીઓએ ફરિયાદી તથા તેમના પરિવારને અમદાવાદથી અબુધાબી થઈને દુબઈ લઈ જઈ હયાત હોટલમાં રોકાણ કરાવ્યું હતું, પરંતુ પેકેજમાં સમાવિષ્ટ ખર્ચા ઉપરાંત આરોપીઓએ ફરિયાદી પાસેથી વધારાના રૂ. 6,24,190 ઉઘરાવ્યા હતા. જેમાં રૂ. 2,26,000 ઉધાર તરીકે અને રૂ. 3,98,190 હોટલ તથા સાઇટ-સીઇંગની ટિકિટના નામે વધારાના ખર્ચ તરીકે વસૂલ કરવામાં આવ્યા હતા. નાણાં પરત માગતા આરોપીએ ધમકી આપીદુબઈથી પરત ફર્યા બાદ ફરિયાદીએ આ વધારાના રૂ. 6,24,190 પરત માંગતાં આરોપીઓએ નાણાં આપવાનો ઇનકાર કરી દીધો હતો અને ફરિયાદીના નાના ભાઈ મિહિરકુમાર ગઢવીએ આરોપી રાજીવ પારેખના મોબાઇલ નંબર પર ફોન કરી નાણાં પરત માંગ્યા ત્યારે આરોપીએ ધમકીઓ આપી હતી. 'તમારા હાથ-પગ તોડાવી નાખીશ'આરોપી રાજીવ પારેખે ફોન પર કહ્યું હતું કે, તમને કોઈ પૈસા મળવાના નથી. મારી પાસેથી હવે પૈસાની માંગણી કરશો તો તમે મને ઓળખતા નથી, મારી પાસે ખૂબ મોટું નેટવર્ક છે. વડોદરામાં રહેવું હોય તો મારી સાથે પંગો ન લેતા. નહીં તો તમારા હાથ-પગ તોડાવી નાખીશ, ધંધા પર આવવા-જવાનું બંધ કરાવી દઈશ અને તમારો બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો ધંધો પૂરો બંધ કરાવી દઈશ. વારસિયા પોલીસે આ બનાવ અંગે 2 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 8:43 am

કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા સન્માન:ભાવનગરના SP નિતેશ પાંડેયને DGP કોમોન્ડેશન ડિસ્ક એવોર્ડથી સન્માન કરાશે

ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા કર્તવ્યનિષ્ઠ પોલીસ અધિકારી નિતેશ પાંડેયને આગામી મંગળવારે ગાંધીનગરના કરાઇ ખાતે ડિજીપી કોમેન્ડેશન ડિસ્ક એવોર્ડથી નવાઝવામાં આવનાર છે. ગુજરાત પોલીસમાં સ્વચ્છ સેવા રેકોર્ડ તેમજ જુદી જુદી શ્રેષ્ઠ કામગીરી બદલ પોલીસ અધિકારીઓને ગુજરાત પોલીસ વિભાગ દ્વારા એવોર્ડ આપવામાં આવે છે. ગુજરાત કેડરના વર્ષ 2017ના આઇ.પી.એસ. અધિકારી અને આઇ.આઇ.ટી. મદ્રાસ પ્રશિક્ષિત એવા ભાવનગર જિલ્લા એસ.પી. તરીકે ફરજ બજાવતા નિતેશ પાંડેયની ગુજરાત પોલીસના ડીજીપી કોમોન્ડેશન ડિસ્ક એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. આ એવોર્ડ સાહસ અને વીરતા, જુદા જુદા ગંભીર ગુનાના કેસો ઉકેલવા, નવતર અભિગમ તેમજ સ્વચ્છ સેવા રેકોર્ડ ધરાવતા પોલીસ અધિકારીથી લઇ કર્મચારીની પસંદગી કરવામાં આવે છે. નિતેશ પાંડેય દ્વારા તેમના પ્રોબેશન પિરીયડ દરમિયાન ચકચારી ગુજસીટોકની તપાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા સન્માન પ્રાપ્ત કરેલ છે. તેમજ દ્વારકા જિલ્લામાં મેગા ડિમોલેશન, ઈરાની નાગરિક પકડવા, સિરપ ની ઉત્પાદન થી લઈ વેચાણ સુધીની ચેઇનને નેસ્તનાબૂદ કરવી, દરિયામાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરવા ખોટા દસ્તાવેજો વાળી અનેક ફિશિંગ બોટો શોધી પાડેલ તથા ખોટા દસ્તાવેજો આધારે પાસપોર્ટ બનાવવાના ષડ્યંત્રનો પર્દાફાશ કરેલ તેમજ ભાવનગર જિલ્લામાં છેલ્લા ત્રણ માસની ફરજમાં પણ શહેર જિલ્લામાં બુટલેગરોનો સફાયો, ગૌવંશના માસનું ગેરકાયદેસર વેચાણ જેવી શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 7:51 am

વૃદ્ધને માર્યો માર:શહેરમાં નિવૃત ફોરેસ્ટ ખાતાના અધિકારીને ચાર શખ્સોએ ઢીકાપાટુનો ગંભીર મારમાર્યો

ભાવનગર શહેરમાં રહેતા અને નિવૃત જીવન ગાળતા ફોરેસ્ટ ખાતાના અધિકારી ઘરે હતા જે વેળાએ એક શખ્સને જાહેરમાં ગાળો બોલવાની ના પાડતા, આ શખ્સ અન્ય ત્રણ શખ્સો સાથે એક સંપ કરી, વૃદ્ધના ઘરમાં ઘુસી જઇ, ઢીકાપાટુનો ગંભીર મારમારી, ભય ફેલાવી, બારીના કાચ સહિતની તોડફોડ કરી હતી અને બાદમાં વૃદ્ધના ખીસ્સામાંથી પાંચ હજાર રૂપિયાની લૂંટ મચાવી ચારેય શખ્સો ફરાર થઇ જતાં ચારેય વિરૂદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ભાવનગર શહેરના ચિત્રા શિક્ષક સોસાયટીમાં રહેતા અને વન વિભાગના નિવૃત અધિકારી જગદેવસિંહ બહાદુરસિંહ ચુડાસમાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની શેરીમાં રાજભા ચુડાસમા ભાલ નામનો શખ્સ જાહેરમાં ગાળો બોલતો હતો જેને ગાળો બોલવાની ના પાડતા આ શખ્સ ત્યાંથી જતો રહ્યો હતો. બાદમાં નંબર પ્લેટ વગરની થાર કારમાં અન્ય ત્રણ અજાણ્યા શખ્સો સાથે ઘરમાં ઘુસી જઇ, વૃદ્ધ જગદેવસિંહ બહાદુરસિંહ ચુડાસમાને ઢીકાપાટુનો ગંભીર મારમારી, ખીસ્સામાંથી પાંચ હજાર રૂપિયાની લૂંટ મચાવી હતી અને જતા જતા ઘરના બારીના કાચ ફોડી ફરાર થઇ જતાં રાજભા ભાલ તેમજ અજાણ્યા ત્રણ વિરૂદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં જગદેવસિંહે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ચારેય શખ્સોને પોલીસે શોધી કાઢવા જુદી જુદી દિશામાં ચક્રોગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 7:50 am

ગૌવંશના માંસનો જથ્થો પકડાયો:શહેરના સાંઢીયાવાડની કામળ ફળીમાંથી 106 કિલો ગૌવંશના માંસ સાથે બે શખ્સોની ધરપકડ

ભાવનગર શહેરમાં રહેણાંકીય મકાનમાં ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાના ઉપર ભાવનગર પોલીસે દરોડા પાડી 106 જેટલા ગૌવંશના માંસ સાથે બે શખ્સોની ધરપકડ કરતા, ભાવનગરના ગેરકાયદેસર મટન માર્કેટમાં ભારે ભય ફેલાઇ જવા પામ્યો છે. શહેરના સાંઢિયાવાડ વિસ્તારના કામળફળીમાંથી કેટલાક શખ્સોની મદદગારીથી રખડતા પશુધનની ચોરી કરી, કતલખાને લાવી, મટનનું વેચાણ કરતા શખ્સો વિરૂદ્ધ કડક હાથે કાર્યવાહી કરાઇ છે. ભાવનગર શહેર તેમજ જિલ્લામાં ગેરકાયેદસર ચાલતી અનેક દુષણભરી પ્રવૃત્તિઓ ભાવનગર જિલ્લા એસ.પી. દ્વારા ડામવામાં આવી રહી છે. ત્યારે હવે સાંઢિયાવાડ વિસ્તારના સ્થાનિક પોલીસ સ્ટેશનના અમુક કર્મચારીઓની રહેમરાહે ચાલતા ગેરકાયદેસર કતલખાના ઉપર દરોડા પાડવામાં આવતા ભારે ભય ફેલાઇ જવા પામ્યો છે. ભાવનગર એલ.સી.બી.ના પી.એસ.આઇ. ઝાલા અને વી.સી.જાડેજાને મળેલી ચોકક્સ બાતમીને આધારે સાંઢિયાવાડમાં કામળફળીમાં અંજુમન ફ્લેટની બાજૂમાં, જમનાકુંડ વિસ્તારમાં રહેતા હુસૈન અબ્દુલભાઇ બાવનકા અને મોહસીન હનીફભાઇ શેખના રહેણાંકીય મકાને ચલાવતા ગેરકાયદેસર કતલખાના ઉપર દરોડા પાડતા 106 કિલોગ્રામ ગૌવંશ માંસ ઝડપી લઇ, બંન્ને શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે પોલીસે ક્રુરતાપૂર્વક ઘરમાં રાખેલા બે ભેંસ, પાંચ પાડા અને એક વાછરડીને મુક્ત કરી, હથિયારો કબ્જે કર્યા હતા. પશુધનની ચોરી કરી મદદગારી કરતા ઇરફાન ઉર્ફે ઇનો કાસમભાઇ લાખાણી, ઇમરાન હનીફભાઇ શેખ, જુબેર અલ્તાફભાઇ ચૌહાણ અને અકરમ ઉર્ફે બાકો બાવનકાના નામ ખુલતા શોધખોળ શરૂ કરાઇ છે. નોનવેજ રેસ્ટોરન્ટના સંચાલકે ખંડણી માંગી હતીસાંઢિયાવાડમાં નોનવેજ રેસ્ટોરન્ટ ચલાવતા એક મોટા કદના સંચાલકના પુત્રએ કતલખાના ચલાવવા દેવા માટે થોડાક સમય પૂર્વે મોટી રકમની ખંડણી માંગી હતી. જે મામલે તપાસ થાય તો અન્ય પાસા બહાર આવી શકે. પકડાયેલા શખ્સો પાછળ મોટા માથાની સંડોવણીસાંઢિયાવાડમાં ગૌમાંસ અંગે પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં હજુ નાની માછલીઓ પકડાઇ છે. રેસ્ટોરન્ટ સંચાલકો ખાનગીમાં ગૌમાંસ વેચાણ અર્થે માર્કેટમાં પધરાવી રહ્યા છે. પોલીસ દ્વારા મોટા માથાની પણ તપાસ કરાવવી આવશ્યક છે. સૌરાષ્ટ્ર સમાચાર ઇનસાઇટ​​​​​​​રાણીકા સહિત આસપાસના વિસ્તારોમાંથી પશુધનની ચોરી​​​​​​​ભાવનગરના રાણીકા સહિત આસપાસના વિસ્તારોમાં માલધારી સમાજ બહોળી સંખ્યામાં રહે છે. જેના પશુધનની રાત્રી દરમિયાન ચોરી થવાની અસંખ્ય ફરિયાદો ઊઠવા પામી છે. જે ફરિયાદો ગંગાજળિયા પોલીસ મથકમાં અરજી સ્વરૂપે પણ પેન્ડીંગ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આરોપીઓ રાત્રિ દરમિયાન સ્ક્રેપમાં આરે ઉભેલી કારનો ઉપયોગ કરે છે જેમાં નંબર પ્લેટ પણ ખોટી હોય છે જે કારમાં ડ્રાઇવરની સીટ સિવાયની તમામ સીટો કાઢી, શહેરમાં રાત્રિ દરમિયાન રખડતા પશુધનની ચોરી કરી, કતલખાને પહોંચાડી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 7:49 am

CSMCRI દ્વારા કચરાથી કંચન પુસ્તકનું વિમોચન:રાષ્ટ્રમાં વૈજ્ઞાનિક મિજાજ જગાવવા વિજ્ઞાન પ્રસાર અત્યંત આવશ્યક

CSIR–CSMCRI, ભાવનગર દ્વારા “કચરાથી કંચન (Waste to Wealth)” વિષય પર હિન્દીમાં પ્રકાશિત થયેલ પુસ્તકના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં રાષ્ટ્રીય વિજ્ઞાન સંચાર અને નીતિ સંશોધન સંસ્થાન (NIScPR), નવી દિલ્લીની નિદેશક ડૉ. ગીતાવાણી રાયસામ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે CSMCRIના નિદેશક ડૉ. કન્નન શ્રીનિવાસન અધ્યક્ષસ્થાને હતા. ડૉ. ગીતા વાણી રાયસામે સંબોધનમાં રાષ્ટ્રના વૈજ્ઞાનિક ટેમ્પર તથા જનજાગૃતિને ઉન્નત કરવા માટે વિજ્ઞાન પ્રસારની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે સમાજમાં સ્વીકાર્ય વિવિધ માધ્યમોના ઉપયોગથી વિજ્ઞાન સંચારને પ્રોત્સાહન આપવાની સલાહ પણ આપી હતી. કાર્યક્રમની શરૂઆત મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. બી. ગાંગુલીના સ્વાગત ભાષણથી થઈ। ત્યાર બાદ પુસ્તકની વિષયવસ્તુ અને તેની મહત્વતા પર પ્રકાશ પાડતાં ડૉ. ડી. ડી. ઓઝાએ કહ્યું કે આ પુસ્તક પ્રધાનમંત્રીએ ચલાવેલા સ્વચ્છ ભારત અભિયાનના લક્ષ્યો પૂર્ણ કરવામાં અત્યંત સહાયરૂપ થશે. તેમણે જણાવ્યું કે પુસ્તકમાં ઘન કચરો, પ્લાસ્ટિક કચરો, ઇલેક્ટ્રોનિક કચરો, બાયો-મેડિકલ કચરો અને રાસાયણિક કચરાથી સંબંધિત અગત્યની અને ઉપયોગી માહિતી આપવામાં આવી છે. પ્રયોગશાળાઓના સંશોધનને રજૂ કરાયાપુસ્તકની વિશેષતા એ છે કે તેમાં દેશની વિવિધ CSIR પ્રયોગશાળાઓમાં ચાલી રહેલા તે સંશોધન કાર્યોને સરળ ભાષામાં રજૂ કરવામાં આવ્યા છે, જેમની મદદથી કચરાને મૂલ્યવાન ઉત્પાદનોમાં પરિવર્તિત કરવામાં આવે છે. અધ્યક્ષના સંબોધનમાં ડૉ. કન્નન શ્રીનિવાસને CSMCRI દ્વારા વિવિધ પ્રકારના ઘન કચરાના મૂલ્યવર્ધનમાં કરવામાં આવતાં કાર્યોનો ઉલ્લેખ કર્યો અને ખાસ કરીને કચરામાંથી પોટાશ ખાતર બનાવવાની તકનીક પર પ્રકાશ પાડ્યો હતો.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 7:47 am

SIR:બીએલઓ શિક્ષકો પર ભારણ દુર નહીં થાય તો ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર

SIRની કામગીરીમાં શિક્ષકોને માનસિક ત્રાસ સામે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ મેદાનમાં આવ્યો છે. SIRની કામગીરીમાં શિક્ષકોને નોટિસ આપી ધમકાવવાની અને ધરપકડ કરવાની માનસિકતા છોડી તમામ નોટિસ પાછી ખેંચો, સાંજે મોડે સુધી શિક્ષક અને શિક્ષિકાઓને બેસાડી ન રાખો, ઓનલાઇનની કામગીરી કમ્પ્યુટરના જાણકાર પાસે કામ કરાવો સહિતની મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. આ પ્રશ્નોના સત્વરે યોગ્ય નિરાકરણ ત્યારબાદ જ ઓનલાઇન કામગીરી શરૂ કરશે અથવા કામગીરીના બહિષ્કારની ચીમકી પણ અપાઇ છે. આજે પણ ઓનલાઇન કામગીરી બંધ હતી. જેમાં સર્વ સહીતના એનક પ્રશ્નો નડી રહ્યાં છે તેમ સંઘના મહામંત્રી જૈમિનભાઇ પટેલે જણાવ્યું હતુ. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે બીએલઓ તરીકે કામગીરી બજાવી રહેલા શિક્ષકો ઉપર તંત્ર દ્વારા ખૂબ જ દબાણ અને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે શિક્ષકોને સમય જોયા વગર રાત્રે મોડે સુધી બેસાડવામાં આવે છે. ફોર્મ ઉપર બીએલઓના મોબાઈલ નંબર હોવાને કારણે મોડી રાત્રે પણ લોકો શિક્ષિકાઓને ફોન કરીને અભદ્ર ભાષાનો પ્રયોગ કરીને પરેશાન કરી રહ્યા છે આવા તમામ પ્રશ્નોનો તાકીદે ઉકેલ આવે અને ત્યારબાદ જ ઓનલાઇન કામગીરી શરૂ કરવામાં આવશે અથવા આ ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે તેમ સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા ચીમકી આપવામાં આવી છે. આ ઉપરાંત રજૂઆતમાં જણાવ્યું છે કે મતદાર સુધારણાની SIRની કામગીરીની સમય મર્યાદા વધારવામાં આવે સર્વરને અપડેટ કરવામાં આવે શિક્ષકો સાથે શિક્ષકોની ગરિમા જળવાઈ એ રીતે વ્યવહાર કરવાની સૂચના આપવામાં આવે કામગીરી માટે ઇન્સ્ટ્રુમેન્ટ અને ડેટા રિચાર્જ કરી આપવામાં આવે. શિક્ષકોના મૃત્યુ થાય તો 1 કરોડની સહાય આપોમતદાર યાદી સુધારણામાં હાલમાંની વખતોવખત મીટીંગો બોલાવીને સમય બગાડવામાં આવે છે અને અન્ય કર્મચારીઓનો પૂરતો સહયોગ શિક્ષકોને મળતો નથી અને માત્ર શિક્ષક બીએલઓ ઉપર જ પ્રેશર આપવામાં આવે તે યોગ્ય નથી તેમ જણાવી એક જ લોગીનથી ઓનલાઇન થાય છે. જેના બદલે પહેલાની જેમ બીજા બે ત્રણ લોગીનનો એક્સેસ આપવામાં આવે, સાંજે મોડે સુધી શિક્ષક કે શિક્ષિકાઓને બેસાડી રાખવામાં ન આવે, ઓનલાઈનની કામગીરી કોમ્પ્યુટર ટેકનોલોજીના જાણકાર યુવાનો પાસે આઉટસોર્સિંગથી કરાવવામાં આવે, આ કામગીરીમાં જે શિક્ષકોના મૃત્યુ થયા છે તેઓના પરિવારને એક કરોડ રૂપિયાની સહાયની માગણી પણ કરાઇ છે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 7:46 am

રૂ.5 લાખની ગ્રાન્ટમાંથી આર.સી.સી.રોડ બનશે:ગારીયાધારના ધારાસભ્ય વાઘાણી દ્વારા કબ્રસ્તાનમાં રોડ બનાવવા ગ્રાન્ટ ફાળવાઇ

ગારીયાધાર સુન્ની મુસ્લિમ સમાજના કબ્રસ્તાનમાં રોડ ન હોવાથી ચોમાસા દરમિયાન લોકોને ખૂબ જ મુશ્કેલી પડતી હતી ત્યારે પૂર્વ નગર સેવક નજરમીયા સૈયદ, તેમજ મુસ્લિમ સમાજના આગેવાન અશરફભાઈ જોગીયા અને અબ્દુલ બાવનકા ઉર્ફે પપ્પુ દ્વારા ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીને સુન્ની મુસ્લિમ સમાજના કબ્રસ્તાનમાં આરસીસી રોડ બનાવવા રજૂઆત કરવામાં આવી હતી. આ રજુઆત બાદ ધારાસભ્યએ તેમની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 5 લાખ રૂપિયા મંજૂર કરી ગારીયાધાર નગરપાલિકાને ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. વર્ષોથી કબ્રસ્તાનમાં રોડ ન હોવાથી લોકોને ચોમાસા દરમિયાન ખૂબ જ મુશ્કેલી પડતી હતી ત્યારે આગામી દિવસોમાં નગરપાલિકા દ્વારા આરસીસી રોડનું એસ્ટીમેન્ટ બનાવવાની કામગીરી કર્યા બાદ આગળની કાર્યવાહી રોડ બનાવવાની હાથ ધરવામાં આવશે. કબ્રસ્તાનમાં આરસીસી રોડ ધારાસભ્ય દ્વારા ગ્રાન્ડ ફાળવતા મુસ્લિમ સમાજના લોકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી તેમજ ધારાસભ્ય દ્વારા ગ્રાન્ટ મંજુર કરતા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીનો આભાર માન્યો હતો. આમ આગામી દિવસોમાં સુન્ની મુસ્લિમ સમાજના કબ્રસ્તાનમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આરસીસી રોડ બનાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 7:45 am

માવઠાના માર સાથે વન્ય પ્રાણીઓથી નુકશાન:વન્ય પ્રાણીઓ અને રખડતા પશુઓ દ્વારા ખેડૂતોના ઊભા પાકને નુકસાન

આ વરસ વધારે વરસાદ ધરતીપુત્રો માટે આફતરૂપ બન્યો છે. અને હવે જે પાક ઊભો છે તેને વન્ય પ્રાણીઓ અને રખડતા પશુઓ દ્વારા પાકનો સોથ બોલાવી દેવામાં આવે ત્યારે ધરતીપુત્રો માટે એ આઘાતજનક નીવડતું હોય છે. ભાવનગર જિલ્લામાં લગભગ તમામ તાલુકાઓમાં નીલગાય, રખડતા ખૂંટિયા અને ભુંડ દ્વારા ખેડૂતોના પાકને થતા નુકસાનની ઘટનાઓ ખૂબ જ વધી ગઇ છે. આ નીલગાય કે અન્ય પશુઓને કોઇ ખેડૂત દ્વારા હાનિ પહોંચે તો વન વિભાગ દ્વારા ખેડૂત ઉપર કાર્યવાહી પણ કરાય છે. વન્ય પ્રાણીઓનું રક્ષણ કરવું આપણી સૌની નૈતિક ફરજ ગણાય આથી આવી કાર્યવાહીઓ થાય તે બરાબર છે પણ ખેડૂતને નુકસાન પહોંચાડે તો એને રક્ષણ આપવાની સરકારની ફરજ ખરી કે નહીં ? અત્યારે જગતનો તાત નિરાધાર બની ગયો છે.આવકનો સ્ત્રોત નથી. પાક નિષ્ફળ ગયો છે.નીલગાય, ભુંડ અને રખડતા ઢોરનો ત્રાસ. વન વિભાગ સર્વે કરીને ખેડૂતોના વાવણી લાયક વાડી ખેતરોની આસપાસ આવા નીલગાય કે રખડતા પશુઓના ઝુંડોને પકડીને જંગલ વિસ્તારમાં મૂકી આવવામાં આવે તે ધરતીપુત્રોના હિતમાં આવશ્યક છે. અને જો આ વ્યવસ્થા પણ ના થાય તો ફરિયાદના આધારે તેમના પાકને થયેલ નુકસાનનું વળતર આપવાની કાર્યવાહી થવી જોઇએ.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 7:45 am

ખાડા રાજ:મહુવામાં નેસવડ ચોકડી પાસે ચારથી પાંચ ફુટ ખાડા વાહન ચાલકો માટે માથાનો દુ:ખાવો

મહુવા પાસેથી પસાર થતા નેશનલ હાઇવે ઉપર નેસવડ ચોકડી પાસે આસપાસ તથા બ્રીજ નીચેના રસ્તામાં મોટા મોટા ખાડા પડી ગયા હોય ખેડુતો, વાહનચાલકો તેમજ રાહદારીઓ ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે.નેસવડ ચોકડી ઉપરના રોડમાં ચાર થી પાંચ ફુટ લાંબા ખાડા તથા અમુક જગ્યાએ આખા રોડમાં ખાડા પડી થયેલ હોય વાહન હાંકવુ મુશ્કેલ બની ગયુ છે તેમજ .પરિસ્થિતિ ઉભી થવા પામેલ છે. મહુવા પાસે નેસવડ ચોકડી હાઇવે ઉપરનો તદ્દન બિસ્માર હાલતમાં હોય વાહનચાલકો તથા સ્થાનિકો દ્વારા જવાબદાર તંત્રને અનેકવાર રજુઆત કરવા છતા કોઇ પગલા ભરવામાં આવેલ નથી. સ્થાનિક જવાબદાર તંત્રના પદાધિકારીઓ દ્વારા પણ આ પ્રશ્ને કોઇ કાર્યવાહી થતી નથી. હાઇવે ઓથોરીટી તથા જવાબદાર તંત્ર દ્વારા તાકીદે આ રોડને મરામત કરવામાં આવે અને સરકાર ખેડુતને પુરેપુરૂ નુકશાનનું વળતર ચુકવે. શીંગ ભરેલુ ટ્રેકટર પલટી મારી ગયુઆજે એક ખેડુત ટ્રેકટરમાં શીંગ ભરી નેસવડ ચોકડી પરથી નિકળી રહ્યા હતા ત્યારે શીંગ ભરેલ ટ્રેકટર પલટી મારતા શીંગ કાદવમાં મિક્સ થઇ જતા ખેડુતની મહેનત એળે ગયેલ. અને મોઢા સુધી આવેલો કોળીયો ઝુંટવાય ગયો.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 7:44 am

BLOનું સન્માન:ગારીયાધાર વિધાનસભા વિસ્તારમાં શ્રેષ્ઠ કામગીરી બદલ BLOનું સન્માન

ભાવનગર જિલ્લાના ગારીયાધાર 101 વિધાનસભા મત વિસ્તારમાં મતદાન નોંધણી અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી સોનારા દ્વારા સુપરવિઝન તેમજ માર્ગદર્શન હેઠળ ની કામગીરી 53% જેટલી થયેલ છે જેમાં 7 BLO શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ નાયબ જિલ્લા વિકાસ અધિકારી સોનારા તેમજ ગારીયાધાર મામલતદાર બી.જે. ઝાલા દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રેષ્ઠ કામગીરી કરનાર BLO માનવીલાસ કૃપાલીબેન હરેશભાઈ 100%, પીપળવા અમરદીપસિંહ એચ ગોહિલ 100%, ફાચરીયા અશ્વિનભાઈ એમ. સરધારા 100%, સુરનગર જીગ્નેશભાઈ એમ. પટેલ 89.71%, માનપુર અમિતભાઈ બાબુભાઈ કાત્રોડીયા 87.21% તેમજ જેસર 10 બુથ પંકજભાઈ ચૌહાણ 100%, ટોલસલડી રાકેશભાઈ ગળથિયા 100% શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 7:44 am

અકસ્માત સર્જાયો:અતુલ રીક્ષા ચાલકે હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

તળાજાના ટીમાણા ગામે ગોરપદાનું કામ કરતા આધેડ ભાવનગર ખાતે પોતાના બાઈક પર ગોરપદાના કામે જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતા અતુલ રીક્ષાના ચાલકે તેને હડફેટમાં લેતા તેને ગંભીર ઇજા થતાં તેનું સ્થળ પર જ મોત નિપજયુ હતું. તળાજા તાલુકાના ટીમાણા ગામે રહેતા અને ગોરપદા નું કામ કરતા વિપુલભાઈ હિંમતભાઈ ભટ્ટ આજે સવારે 7:30 વાગ્યાની આસપાસ પોતાના ગામ ટીમાણા થી ભાવનગર ખાતે ગોરપદા નું કામ કરવા પોતાની મોટરસાયકલ પર જઈ રહ્યા હતા. ત્યારે દિહોર રાજપરા રોડ પર સાંકડાસર નંબર બે ના પાટીયા પાસે પહોંચતા સામેથી આવી રહેલ એક અતુલ કંપનીની રીક્ષા નંબર gj 04 au 55 89 ના ચાલકે તેની રીક્ષા પુરપાટ ઝડપે અને બે ફિકરાય રીતે ચલાવી વિપુલભાઈ ની સાથે ધડાકા ભેર ભટકાડી અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં વિપુલભાઈ ને માથામાં તેમજ પગમાં ગંભીર ઈજા પહોંચતા તેને 108 માં તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. અતુલ રીક્ષાનો ચાલક અકસ્માત સર્જી રીક્ષા સ્થળ પર મૂકી નાસી છૂટ્યો હતો. આ અકસ્માત અંગેની ફરિયાદ મૃતક વિપુલભાઈ ના નાનાભાઈ મહેશભાઈ ભટ્ટ એ તળાજા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ અકસ્માતની ઘટના બનતા તેમના પરિવારજનોમાં અને સમાજ તેમજ ગામમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 7:43 am

આનંદ ગરબા પાઠ મહોત્સવનું આયોજન:સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ ભાવનગરમાં આનંદ ગરબા પાઠ મહોત્સવનો પ્રારંભ થયેલ

ભાવનગર : વર્ષના માગસર માસમાં બીજના દિવસે બહુચરાજી માતાજીએ તેમના ભકતની લાજી રાખવા માટે શિયાળાના દિવસો હોવા છતા કેરીના રસ અને રોટલીનુ જમણ કરાવ્યુ હતુ. તેની યાદમાં ભાવનગર ખાતે આવેલ રૂવાપરી દરવાજા ખાતે બહુચરાજી માતાજીના મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભાવનગરમાં રૂવાપરી બાલા બહુચરાજી મંદિરમાં 57 વર્ષ પહેલા પ્રથમ આનંદ ગરબાની ધુનનો પ્રારંભ થયો હતો. ભકતોમાં માગશર સુદ બીજનુ અનન્ય મહત્વ હોય મા આનંદના અખંડ મહાધુન, માતાજીની મહાઆરતી, થાળ, હવન અને મહાપ્રસાદનુ આયોજન કરાયુ હતુ તા.22ના મંગલ દીપ પ્રાગટય સવારે 7.30 કલાકે, મહાધુન વિરામ સાંજે 7.30 કલાકે માતાજીની આરતી તેમજ થાળ, પ્રસાદ સાંજે 7.30 પછી બાલા બહુચરાજી મંદિર રૂવાપરી દરવાજા ખાતે કરાશે. અમદાવાદ પછી સૌરાષ્ટ્રમાં પ્રથમ એવા આ બહુચરાજી મંદિરમાં આનંદના ગરબાની શરૂઆત કરવામાં આવી હતી.મંદિરના પુજારી પીયુષભાઇ ગોસ્વામીના જણાવ્યા મુજબ ગુજરાતમાં સૌપ્રથમ અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ રૂવાપરી દરવાજા ખાતે માગશર સુદ બીજના રોજ માતાજીનો પ્રાગટયોત્સવ ઉજવવામાં આવે છે. આશરે 348 વર્ષ પહેલા અમદાવાદમાં રહેતા બહુચરમાના ભકત વલ્લભ ભટ્ટની કસોટી કરવા જ્ઞાતીજનોએ માગશર સુદ બીજના દિવસે રસ, રોટલીની નાત જમાડવાની માંગણી કરી હતી. વલ્લભ ભટ્ટ આરાધના કરતા હતા ત્યારે સ્વયં બહુચર માતાજી, નારસંગ વિરે વલ્લભ અને ધોળાના સ્વરૂપે હાજર થઇને જ્ઞાતિને રસ રોટલીનુ જમણ કરાવીને ભકત વલ્લભ ભટ્ટની લાજ રાખી હતી. તેની સ્મૃતિમાં આજે પણ રસ રોટલી મહોત્સવની પરંપરા ચાલી રહી છે. આનંદ ગરબા પરિવાર, હંસાબા ગોસ્વામી દ્વારા પધારવા અનુરોધ છે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 7:41 am

વડાપ્રધાન મોદીના હસ્તે ઉદઘાટન, રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં પૂર્ણાહુતિ:નેશનલ જંબોરીમાં ગુજરાતના પ્રતિનિધિત્વ માટે ભાવનગરના સ્કાઉટ ગાઈડ રવાના

ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ દ્વારા 23 થી 29 નવેમ્બર લખનૌ ઉત્તર પ્રદેશ ખાતે 19 મી નેશનલ જંબુરી (કેમ્પ) અને 75 વર્ષની ઉજવણીના અનુસંધાને ડાયમંડ જ્યુબીલી ફિનાલેનું આયોજન ભારતના અને એશિયા પેસિફિક રીજનના સ્કાઉટ ગાઈડ રોવર રેન્જર્સ માટે કરવામાં આવ્યું છે. આ કેમ્પ દરમિયાન ભારતના તમામ રાજ્યોના 35,000 સ્કાઉટ ગાઈડ, એશિયા પેસિફિક રીજનના 2000 સ્કાઉટ ગાઈડ જમ્બોરી કેમ્પમાં જોડાશે. આ કેમ્પનું ઉદઘાટન ભારતના વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવશે રાજ્યપાલ આનંદીબેન પટેલ,રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી ઉપસ્થિત રહેશે. કેમ્પ દરમિયાન માર્ચ પાસ્ટ, ફિઝિકલ ડિસ્પ્લે, ફૂડ પ્લાઝા, પાયોનરીગ,ફોક ડાન્સ, એડવેન્ચર એક્ટિવિટી, વોટર એક્ટિવિટી, ગ્લોબલ વિલેજ, પીઝંટ શો જેવા અનેક કાર્યક્રમો સ્પર્ધાત્મક રીતે યોજાશે. જમ્બોરી સ્થાન પર ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજી, સંસ્કૃતિ અને એજ્યુકેશનને લગતા 100 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવશે સાથે સાથે ડ્રોન શો અને એર શો પણ જાંબોરીનું આકર્ષણ રહેશે. ભાવનગર જિલ્લાના 23 સ્કાઉટ ગાઈડ રોવર રેન્જર્સ અને શિક્ષકો ગુજરાતના કન્ટીજન સાથે જોડાય ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. કેમ્પની પૂર્ણાહૂતિ પ્રસંગે મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદીમુર્મુજી ખાસ ઉપસ્થિત રહેશે અને વિદ્યાર્થીઓને સંબોધિત કરશે. ભાવનગર કન્ટીજન લખનૌ જવા રવાના થયા વિદ્યાર્થીઓ સાથે ગાઈડ કેપ્ટન તરીકે સરલાબેન સાકળીયા સેવા આપશે. ગુજરાત કન્ટીજનના એક્ટિવિટી પ્રોગ્રામ ઓફિસર તરીકે અજયભાઈ ભટ્ટ ફરજ બજાવશે. ભાવનગરના સ્કાઉટ ગાઈડને કેમ્પની સફળતા માટે જિલ્લા સંઘના પ્રમુખ નિશાંતભાઈ મહેતા, પદાધિકારીઓ દ્વારા શુભેચ્છા અપાઇ.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 7:41 am

324 ભાવિકોએ મોક્ષમાળા પહેરી:હુ તો પહેરીશ મોક્ષની માળ, મારા પુરા થયા ઉપધાન હવે કયારે બનીશ અણગાર

ભાવનગર શ્વે. મૂ.પૂ.તપાસંઘના ઉપક્રમે 324 ઉપધાન તપના તપસ્વીઓએ મોક્ષમાળા પહેરવાનો કાર્યક્રમ જવાહર મેદાન ખાતે ઉભી કરાયેલી નગરીમાં શાસન સમ્રાટ સમુદાયના આચાર્ય ભગવંત વિજય ઇન્દ્રસેનસૂરિશ્વરજીની ઉપસ્થિતિમાં આચાર્ય હર્ષિલસેનસૂરિ, યુવા વર્ગના લાડીલા મહાસેનવિજયજી મહારાજ સાહેબ અને ભાવનગરમાં બિરાજમાન સાધુ, સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં ઉલ્લાસભર્યા વાતાવરણ વચ્ચે યોજાયો હતો. ભાવનગર જૈન સંઘમાં દાદાસાહેબ ખાતે પૂજય ગુરૂભગવંતોની નિશ્રામાં તા.21ના સવારે 8.45 કલાકે તમામ 324 ઉપધાન તપના આરાધકોએ નાણ (ભગવાનની રચના કરવામાં આવેલી) તેના ફરતી પ્રદક્ષિણા કરવામાં આવી હતી. પૂજય ગુરૂદેવો દ્વારા ધાર્મિક ક્રિયાઓ કરાવવામાં આવી હતી. બાદમાં માળારોપણના આદેશ અપાયા હતા તે મુજબ આરાધકોએ પૂજય ગુરૂ ભગવંતો અને ભાઇઓના હસ્તે મોક્ષમાળ પહેરી હતી. મારા ગુરૂરાજ મોક્ષમાળા પહેરાવે છે. અનેરા ઉત્સાહ સાથે આરાધકોએ મોક્ષમાળા પહેરી હતી. અને સયંમ લેતી વખતે ઓઘો આપ ત્યારે જેવા ઉલ્લાસ સાથે ઉછળ કુદ કરી નાચ કરે તેમ કરી રહ્યા હતા. હવે કયારે બનીશ અણગાર ભાવ રજુ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન સંજયભાઇ ઠાર, મીહીર દોશી અને ટીમના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યુ હતુ. ભાવનગર સંઘમાં આ ચાર્તુમાસ દરમ્યાન ધર્મની ખૂબ વૃધ્ધિ થઇ આ સમગ્ર સાધના કાળની શિરમાળે આરાધનામાં 400થી વધુ આરાધકો જોડાયા હતા. આ સમગ્ર આયોજન સુચારૂરૂપે સંપન્ન થાય તે માટે સમસ્ત ભાવનગર જૈન સંઘે આયોજન કરવામાં આવેલ આ આરાધનામાં 47 દિવસ સુધી તમામ આરાધકો સાધુ જીવન જેવુ નિર્દોષ જીવન જીવી માળ પહેરી હતી.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 7:40 am

રેલવેનો નિર્ણય:બાંદ્રા-પાલિતાણા વચ્ચે વિશેષ ટ્રેન ચલાવવા રેલવેનો નિર્ણય

ભાવનગર રેલવે ડિવિઝન તળેના પાલિતાણા માટે વિશેષ ટ્રેનનું આયોજન પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવ્યુ છે. જૈન યાત્રાધામમાં આવી રહેલા મુસાફરોના રેલ પરિવહનની સગવડતા માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. આ ટ્રેનનો SLRD કોચ અનારક્ષિત રહેશે, જેના માટે ટિકિટ UTS કાઉન્ટર પરથી મળશે અને આ કોચમાં સુપરફાસ્ટ મેઈલ, એક્સપ્રેસનો ભાડુ લાગશે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ, બાંદ્રા ટર્મિનસ-પાલિતાણા સુપરફાસ્ટ સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસ - પાલિતાણા સુપરફાસ્ટ સ્પેશિયલ રવિવાર, 23 નવેમ્બર, 2025 ના રોજ 19:25 કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે સવારે 09:25 કલાકે પાલિતાણા પહોંચશે. પાલિતાણા-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ સોમવાર, 24 નવેમ્બર, 2025 ના રોજ પાલિતાણાથી 20:30 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 10:45 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બોરીવલી, પાલઘર, વાપી, વલસાઢ, નવસારી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, બોટાદ, ધોળા, સોનગઢ અને સિહોર (ગુજરાત) સ્ટેશનો પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં થર્ડ એસી અને સ્લીપર કોચ હશે. બુકિંગ 22 નવેમ્બરથી તમામ PRS કાઉન્ટર્સ પર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 7:37 am

ફાયરમેનની ઘટ:આગ લાગે ત્યારે કુવો પણ નહીં ખોદી શકાય ફાયર બ્રિગેડમાં 50% કરતાં વધુ જગ્યા ખાલી

ગુજરાતમાં બનતી આગની ગંભીર દુર્ઘટનાઓને લઈને જરૂરી બિલ્ડીંગોમાં ફરજિયાત ફાયર એનઓસી લેવા અને તેની સમયાંતરે ચકાસણી કરવા સાથે બેદરકાર સામે કાર્યવાહી કરવા હાઇકોર્ટ અને સરકાર સતત તંત્ર વાહકોને ઝાટકતી હોય છે. ત્યારે બીજી તરફ ભાવનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ વિભાગમાં મંજૂર સેટઅપ કરતાં પણ 50% ઓછો સ્ટાફ છે. આવી પરિસ્થિતિમાં સચોટ કામગીરીની અપેક્ષા રાખવી પણ અયોગ્ય છે. ભાવનગર સહિત ગુજરાત રાજ્યમાં આગની દુર્ઘટનાઓ અટકાવવા માટે ફાયર એનઓસીના નિયમોમાં પણ કડક અમલવારી છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે. હાઇકોર્ટ દ્વારા પણ આપ મામલે અતિ ગંભીરતા લઈ સરકારને વારંવાર ફટકાર આપવામાં આવતી હોય છે. ભાવનગર શહેરમાં પણ 1500 થી પણ વધુ બિલ્ડીંગોમાં ફાયર એનઓસી ની આવશ્યકતા છે. ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસની સેવાઓ માત્ર આગની દુર્ઘટના પૂરતી સીમિત નથી. પરંતુ અન્ય કોઈ અકસ્માત, મોટી દુર્ઘટના, પૂર હોનારત અને ઘણા કિસ્સાઓમાં ડિમોલિશન સમયે પણ સેવા લેવામાં આવે છે. ભાવનગર મહાનગરપાલિકાનો વિસ્તાર વધતો ગયો છે અને ફાયર અને ઈમરજન્સી સર્વિસ વિભાગનું સેટઅપ પણ વધારવામાં આવ્યું છે. કોર્પોરેશનના વધેલા વિસ્તાર પ્રમાણે પાંચ ફાયર સ્ટેશનની આવશ્યકતા છે અને તે પ્રમાણે કર્મચારીઓની ભરતીની પ્રક્રિયા પણ શરૂ છે. પરંતુ ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના સેટઅપમાં હાલમાં 50% જગ્યા ખાલી છે. ફાયર બ્રિગેડ વિભાગનું 242 અધિકારી કર્મચારીઓનું સેટઅપ છે. જે પૈકી હાલમાં 121 જગ્યા ભરાયેલી છે અને 127 જગ્યા ખાલી છે. જોકે, તાજેતરમાં ચીફ ફાયર ઓફિસરની ખાલી જગ્યા ભરાઈ હતી. ખાસ તો જેની દુર્ઘટના સમયે કામગીરી રહે છે તેવા ફાયરમેનની 120 જગ્યા સામે 64 જગ્યા ખાલી છે. ત્યારે આગામી દિવસોમાં નવા બની રહેલા ફાયર સ્ટેશનમાં કર્મચારીઓની ખાલી જગ્યાઓ પણ પુરાય તે આવશ્યક છે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 7:36 am

હોસ્પિટલમાં ઉધરસ, શરદી અને વાયરલ ઇન્ફેક્શનના કેસો વધ્યા:ખરાબ હવામાનથી શ્વાસને લગતા દર્દીઓને ખતરો વધ્યો

રાજ્યમાં દિવાળીના તહેવારો બાદ હવામાન ચોખ્ખું થતા હવાની ગુણવત્તાનું સ્તર સુધરતું હોય છે. જોકે તાજેતરમાં શિયાળુ સિઝનના પ્રારંભ સાથે હવાની ગુણવત્તાના સ્તરમાં ભારે વધ ઘટ જોવા મળી રહી છે. ભાવનગર શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં એર ક્વોલિટી ઇન્ડેક્સનું લેવલ ઊંચું રહેતા ખરાબ હવામાનને કારણે શ્વાસને લગતા દર્દીઓને ખતરો વધ્યો છે ત્યારે ખરાબ હવામાનની અસરથી શહેરની હોસ્પિટલમાં ઉધરસ, શરદી અને વાયરલ ઇન્ફેક્શનના કેસો વધ્યા છે. ભાવનગર શહેરમાં તા.15મી નવેમ્બરથી આજે તા.21મી નવેમ્બર સુધીના સપ્તાહમાં એર ક્વોલિટી ઇન્ડેક્સનું લેવલ 154 થી 207 વચ્ચે નોંધાયું છે. જેમાં ભાવનગર શહેરમાં સવારે 11.04 કલાકે ખરાબ હવામાનની અસરથી એર ક્વોલિટી ઇન્ડેક્સ 207 પહોંચી ગયો હતો. શહેરમાં છેલ્લા 24 કલાકમાં એર ક્વોલિટી ઇન્ડેક્સનું નીચામાં નીચું સ્તર 174 અને સર્વાધિક ઊંચું સ્તર 207 નોંધાયું હતું ત્યારે હવામાનમાં સુધારો ન થાય ત્યાં સુધી શ્વાસને લગતા દર્દીઓને પુરતી તકેદારી રાખવા તબીબો સલાહ આપી રહ્યા છે. સૌરાષ્ટ્ર સમાચાર નોલેજહવાનો AQI શું છે ?એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) એ હવામાં આવેલા પ્રદૂષણનું સ્તર બતાવતો એક સૂચકાંક છે. જે જણાવે છે કે હાલની હવાની ગુણવત્તા સ્વસ્થ છે કે હાનિકારક. જે હવામાં રહેલા અતિ સૂક્ષ્મ ધૂળના કણો,મોટા ધૂળના કણો, ઓઝોન, નાઈટ્રોજન ડાઈઓક્સાઈડ, સલ્ફર ડાઈઓક્સાઈડ અને કાર્બન મોનોક્સાઈડના પ્રમાણના આધારે નિયત કરાય છે. હવાના સ્તરને 0 (શૂન્ય) થી 300+ (ત્રણ સોથી વધુ) એમ કુલ 6 શ્રેણીમાં વર્ગીકૃત કરી ગુણવત્તા નક્કી કરવામાં આવે છે. સૌરાષ્ટ્ર સમાચાર નોલેજધુમ્મસના સમયે બહાર નીકળવાનું ટાળવુંખરાબ હવામાનને પગલે સૂકી ઉધરસ, શરદી અને વાયરલ ઇન્ફેક્શનના કેસો વધ્યા છે. જેમાં ખાસ કરીને દમ અને હૃદયરોગને સંબંધિત દર્દીઓને શ્વાસને લગતી સમસ્યા ઉદ્દભવી હોય છે ત્યારે ધુમ્મસના સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ. > ડો.ગોપાલસિંહ પરમાર, પૂર્વ સેક્રેટરી, ચેસ્ટ ફિઝિશિયન એસોસિએશન, ભાવનગર

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 7:35 am

લોકોની સુવિધામાં વધારો:ફુલસરમાં 6.71 કરોડના ખર્ચે મ્યુ.પાર્ટી પ્લોટ બનાવાશે

વર્તમાન સમયમાં સામાજિક પ્રસંગો માટે પાર્ટી પ્લોટનો વધું ક્રેઝ જોવા મળે છે. પરંતુ આર્થિકરીતે સાધારણ વર્ગના લોકો માટે ખાનગી પાર્ટી પ્લોટમાં મોટા ખર્ચાને કારણે પ્રસંગ શક્ય નથી હોતા ત્યારે કોર્પોરેશન દ્વારા ફુલસર વિસ્તારમાં રૂ.6.71 કરોડના ખર્ચે 17000 ચો.મી. વિશાળ વિસ્તારમાં પાર્ટી પ્લોટ બનશે. રૂપિયા 6.71 કરોડના ખર્ચે શહેરમાં ફુલસર ટી.પી. સ્કીમ 2-બીમાં રાજકોટ હાઇ-વેની તદ્દન નજીકમાં ચિત્રા સ્વામિનારાયણ મંદિરના પાછળની તરફ મહાનગરપાલિકાને પ્રાપ્ત થયેલ પ્લોટમાં કુલ અંદાજિત 17000 ચો.મી. વિસ્તારમાં 5500 ચો.મીટર લોન એરીયા સાથે પાર્ટી પ્લોટ બનાવવા સ્ટેન્ડીંગ કમિટી કક્ષાએથી પરામર્શ આપવામાં આવેલ હોવાનું સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન રાજુભાઈ રાબડીયાએ જણાવ્યું છે. વિશાળ વિસ્તારોમાંથી નાનો અને મોટો એમ બે પાર્ટી પ્લોટ બનાવવામાં આવશે. બંને પાર્ટી પ્લોટમાં અલગ-અલગ આકર્ષક એન્ટ્રી ગેટ તથા પાથ-વે રહેશે. વિશાળ લોનની સાથે 95 કાર પાર્કીંગ તથા 505 ટુ-વ્હીલર પાર્કીંગ માટેની જગ્યાનો પણ સમાવેશ થાય છે તેમજ પાર્કીંગ માટે અલગથી એન્ટ્રી ગેટ રહેશે. આ પાર્ટી પ્લોટમાં કમ્પાઉન્ડ વોલ, ટ્રી-પ્લાન્ટેશન એરિયા, સુશોભિત પાથ-વે, એડમીન ઓફીસ, સીક્યુરીટી રૂમ તથા બંને પાર્ટી પ્લોટ માટે સેપરેટ સ્ટોર, સર્વિસ એરીયા, કીચન, ગ્રીન રૂમ વગેરે પાયાની જરૂરિયાત સાથે બનાવવામાં આવનાર છે. આમ, તમામ જરૂરી સુવિધાઓ આવરી લઇ પ્લાનીંગ સાથે આયોજન કરવામાં આવેલ છે. તરસમીયા નજીક મહાનગરપાલિકાની પૂર્વ ઝોનલ ઓફીસ પાસે તથા રીંગ રોડ શ્રીજી પાર્ટી પ્લોટ સામે એમ કુલ 2 પાર્ટી પ્લોટ બનાવવામાં આવી રહ્યા છે, તથા શહેરમાં પશ્ચિમમાં ફુલસર વિસ્તારમાં સુવિધાઓ સાથેના 2 નવા પાર્ટી પ્લોટ બનાવવા ટેન્ડર પ્રક્રિયા થનાર છે. વિશાળ વિસ્તારમાં નાના મોટા બે પાર્ટી પ્લોટ બનશેપ્લોટનો એરિયા ઘણો મોટો હોવાથી મહાનગરપાલિકા દ્વારા મોટા ફંકશન-આયોજન માટે અંદાજિત 10200 ચો.મી. વિસ્તાર તથા નાના ફંકશન-પ્રસંગ માટે અંદાજિત 6800 ચો.મી. વિસ્તાર એમ કુલ 2 પાર્ટી પ્લોટ બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે. આ પાર્ટી પ્લોટ બન્યેથી જનસુખાકારીના ભાગરૂપે શહેરીજનોના નાના-મોટા પારિવારિક સામાજિક પ્રસંગો, ફંકશનોનું આયોજન સરળ બનશે તથા લોકોના સુખ-દુઃખના પ્રસંગોમાં ઘણું જ મદદરૂપ થઈ શકશે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 7:32 am

સૌરાષ્ટ્ર સમાચાર ઇમ્પેક્ટ‎:આખરે સર ટી. હોસ્પિટલમાં નવી વ્હીલચેર અને સ્ટ્રેચર ફાળવાયા

જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં ગણાતી સર ટી. હોસ્પિટલમાં સર્જરી, મેડિસિન અને ઓર્થોપેડિક વિભાગની સારવાર આપતા ટ્રોમા સેન્ટરમાં ખખડધજ બનેલા વ્હીલચેર અને સ્ટ્રેચર જેવા ઉપયોગી સંસાધનો ખખડધજ બન્યાનો સૌરાષ્ટ્ર સમાચારમાં ગત તા.14મી નવેમ્બરના રોજ અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ઉપયોગી ખખડધજ સંસાધનોના અહેવાલના પગલે તાત્કાલિક ધોરણે 100 નવી વ્હીલચેર અને 100 નવા સ્ટ્રેચરની ફાળવણી કરવામાં આવી છે. ભાવનગર સર ટી. હોસ્પિટલમાં ઉપયોગી ખખડધજ સંસાધનોના કારણે હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર સહિતના અનેક વિભાગોમાં વ્હીલચેર અને સ્ટ્રેચર ખખડધજ હાલતમાં હોવાથી દર્દીને લાવવા સમયે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ બાબતે અનેક રજૂઆતો બાદ તંત્રવાહકોના પેટનું પાણી હલતું ન હતું ત્યારે હવે સર ટી. હોસ્પિટલમાં નવી વ્હીલચેર અને સ્ટ્રેચરની ફાળવાણી કરાતા સારવાર્થે આવતા દર્દીઓ અને દર્દીના પરિવારજનોને પડતી મુશ્કેલીનો અંત આવશે. સૌરાષ્ટ્ર સમાચાર ઈનસાઈડસર ટી. હોસ્પિટલમાં ઉપયોગી સંસાધનોની જાળવણીનો અભાવભાવનગરની સર હોસ્પિટલમાં જરૂરિયાતને ધ્યાનમાં લઇ સમયાંતરે લાખો રૂપિયાના ખર્ચે કિંમતી સંસાધનોની ફાળવણી કરવામાં આવે છે. જોકે જાળવણી અને સમયસર જરૂરી મરામતના અભાવે સંસાધનો ખખડધજ બની જતા હોય છે. સર ટી. હોસ્પિટલમાં નવા વ્હીલચેર અને સ્ટ્રેચર આવ્યા છેસર ટી. હોસ્પિટલમાં જરૂરિયાતને ધ્યાનમાં રાખી વ્હીલચેર અને સ્ટ્રેચર મંગાવવામાં આવ્યા હતા. હવે સર ટી. હોસ્પિટલમાં નવા વ્હીલચેર અને સ્ટ્રેચર આવ્યા છે ત્યારે કેટલીક જરૂરી કામગીરી બાદ ઉપયોગમાં લેવાશે. > અર્પણભાઈ પટેલ, નાયબ કાર્યપાલક ઈજનેર, પી.આઈ.યુ. વિભાગ, સર ટી. હોસ્પિટલ, ભાવનગર

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 7:31 am

વોન્ટેડ આરોપી ઝડપાયો:રૂ. 13 લાખના એમડી ડ્રગ્સના કેસમાં વોન્ટેડ રિઝવાન ઝડપાયો

રાંદેર ચંદ્રશેખર આઝાદ બ્રીજ પરથી SOGએ બાતમીને આધારે ડ્રગ્સ માફીયાને દબોચી લીધો છે. પકડાયેલો ડ્રગ્સ માફીયા છેલ્લા 5 મહિનાથી વોન્ટેડ હતો પોલીસથી બચવા માટે તે રાજસ્થાનના અજમેર ભાગી ગયો હતો. ડ્રગ્સ માફીયા રિઝવાન ઉર્ફે ઉસ્તાદ ઉર્ફે ગુંડો અબ્દુલકાદર બોમ્બેવાલા છે અને તે ભાગાતળાવ મક્કા એપાર્ટમેન્ટમાં રહે છે. વધુમાં એસઓજીના સ્ટાફે જણાવ્યું કે અગાઉ 18મી મે-25એ જહાંગીરપુરાના શરણમ રેસીડન્સીની સામે સ્વસ્તિક વિલા પાસેથી રૂ.12.95 લાખના એમડી ડ્રગ્સ સાથે સુફીયાન ઉર્ફે શીબુ શેખ પકડાયો હતો. સુફીયાન એમડી ડ્રગ્સ રિઝવાન પાસેથી લાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 7:25 am

બાકી રહેલ પ્રિ-સ્કૂલો પર તવાઈ આવશે:નિયમો હળવા થતાં સુરત સહિત રાજ્યમાં 4,662 જેટલી પ્રિ-સ્કૂલોએ રજિસ્ટ્રેશન કર્યું

પ્રિ-સ્કૂલોની નોંધણી માટેના નિયમો હળવા કર્યા બાદ અત્યાર સુધી સુરત સહિત રાજ્યમાં 4662 પ્રિ-સ્કૂલો દ્વારા નોંધણી માટે ઓનલાઈન અરજી કરવામાં આવી હતી. જેમાંથી 2266 પ્રિ-સ્કૂલોને મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રિ-સ્કૂલોની નોંધણી માટે નિયમો હળવા કર્યા બાદ 3 માસની મુદત આપવામાં આવી હતી, આ મુદત હવે 30 નવેમ્બરના રોજ પૂર્ણ થવાની છે ત્યારે હજુ પણ અનેક પ્રિ-સ્કૂલોએ રજિસ્ટ્રેશન કરાવ્યું નથી. જેથી નિયત સમયમર્યાદામાં જે પ્રિ-સ્કૂલો નોંધણી નહીં કરાવે તેમની સામે તવાઈ આવશે. આ માટે મુદત પૂર્ણ થયા બાદ જિલ્લા શિક્ષણાધિકારીઓને તપાસ પણ સોંપવામાં આવે તેવી શક્યતા સુત્રોએ વ્યક્ત કરી છે. રાજ્યમાં આવેલી પ્રિ-સ્કૂલોની નોંધણીને લઈને કોઈ જ નિયમો અસ્તિતત્વમાં ન હતા. જેથી રાજ્યમાં બિલાડીની ટોપની જેમ પ્રિ-સ્કૂલો શરૂ થઈ હતી. જોકે, ત્યારબાદ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને આ પ્રિ-સ્કૂલોનું મોનિટરિંગ કરવાનું નક્કી કર્યું હતું. જે-તે વખતે જાહેર કરાયેલી માર્ગદર્શિકામાં રજિસ્ટ્રેશન માટે રજિસ્ટર્ડ લિઝ, બીયુ પરમિશન સહિતના ડોક્યુમેન્ટ માગવામાં આવ્યા હતા. જેમાં પણ મુખ્યત્વે સંચાલકોને 15 વર્ષના રજિસ્ટર્ડ ભાડા કરાર સામે વાંધો હતો. સરકારે સંચાલકોને રજિસ્ટ્રેશન માટે એક વર્ષની મુદત આપી હતી, જે ફેબ્રુઆરી-2025માં પૂર્ણ થઈ હતી. આ દરમિયાન સુરત સહિત રાજ્યમાથી માત્ર 400 જેટલી પ્રિ-સ્કૂલોએ જ નોંધણી કરાવી હતી. આમ, રાજ્યમાં 10 હજાર કરતા વધુ પ્રિ-સ્કૂલોના અંદાજ સામે માત્ર 400 જેટલી જ પ્રિ-સ્કૂલોની નોંધણી થઈ હતી. પ્રિ-સ્કૂલોની નોંધણીને લઈને બનાવેલા નિયમો સામે સંચાલકોને વાંધો હોવાથી તે અંગે સંચાલકો દ્વારા શિક્ષણ વિભાગમાં અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી. ભાસ્કર ઈનસાઈડહવે માત્ર રૂ. 10 હજાર ફી અને ને સેલ્ફ ડેક્લેરેશનવર્ષ-2023ના રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ અનુસાર પ્રિ-સ્કૂલો માટે 15 વર્ષનો રજિસ્ટર્ડ ભાડા કરાર, બિલ્ડિંગ યુટિલાઇઝ સર્ટિફિકેટ, જમીનની દસ્તાવેજો સહિતના અનેક ડોક્યુમેન્ટ ફરજિયાત બનાવવામાં આવ્યા હતા. આ મામલે પ્રિ સ્કૂલના સંચાલકોએ રજૂઆતો સાથે સાથે વિરોધ નોંધાવ્યો હતો. જો કે, હવે નિયમો હળવા કર્યા છે. નવા ઠરાવ અનુસાર દરેક પ્રિ-સ્કૂલોએ હયાત અથવા તો નવી શરૂ થનારી પ્રિ-સ્કૂલોએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 7:25 am

ભાસ્કર એક્સક્લુસિવ:ધોરણ-11 અને 12ના વિદ્યાર્થીઓ હવે ડેટા સાયન્સથી લઈને રોબોટિક્સના પાઠો ભણશે

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હવે સ્કૂલોના મુખ્ય ધોરણોમાં શામેલ થવા જઈ રહ્યું છે. નવા શૈક્ષણિક વર્ષ 2026-27થી ધોરણ-11 અને 12ના વિદ્યાર્થીઓ માટે AIના નવા પાઠ્ય પુસ્તકો અમલમાં આવશે. આ પુસ્તકો નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક (NCF-SE)ના નિયમો અનુસાર તૈયાર કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને AI વિષયનું અભ્યાસ શું છે અને તેનો ઉપયોગ કઈ રીતે અને કેવી રીતે કરવો સહિતની બાબતો શીખવાડમાં માટે NCERTની 16 સભ્યોની વિશેષ ટીમ બનાવી છે. એ ટીમમાં IITના પ્રોફેસરો, IISc બેંગલુરુના નિષ્ણાતો અને મોટા ટેક્નોલોજી કંપનીઓના અધિકારી સામેલ છે. નવા શૈક્ષણિક વર્ષથી વિદ્યાર્થીઓને વિષયનું માર્ગદર્શન શરૂના દિવસથી જ આપવામાં આવશે. AIનો સિલેબસ અને ટીચિંગ-લર્નિંગ મટીરિયલ તૈયાર કરનાર ટીમમાં IIT મદ્રાસ, IIT બોમ્બે અને CBSEના નિષ્ણાંતો સામેલ છે. પ્રોજેક્ટ આધારિત અભ્યાસAI સિલેબસમાં ગણિત, પ્રોગ્રામિંગ, મશીન લર્નિંગ અને ડીપ લર્નિંગના ખ્યાલ હશે. ડેટા સાયન્સ અને વિશેષ ક્ષેત્રો જેમ કે કોમ્પ્યુટર વિઝન અને રોબોટિક્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટ આધારિત અભ્યાસ પર ખાસ ભાર આપવામાં આવ્યો છે. AIનો ભાવિમાં પ્રભાવ સહિતની બાબતો સિલેબસમાં હશેAI ઇન્ડસ્ટ્રીઝને હાલમાં કેવી રીતે બદલાવી રહી છે અને ભવિષ્યમાં તેનો પ્રભાવ કઈ રીતે પડશે તે તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સિલેબસ તૈયાર થશે. મોટા ટેક્નોલોજી કંપનીઓના નિષ્ણાંતો પણ કમિટીમાં જોડાયા છે, જેમ કે માઇક્રોસોફ્ટ ઇન્ડિયા અને અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના પ્રોફેસરો. એટલે કે સિલેબસમાં એકેડેમિક, ઇન્ડસ્ટ્રી અને રિસર્ચ ત્રણેય જરૂરિયાતોને ધ્યાનમાં લેવામાં આવશે. આવતાં વર્ષથી અમલમાંૉવિદ્યાર્થીઓની સંખ્યા વધી શકે તે માટે NCERTએ પુસ્તકોની પ્રિન્ટિંગ પહેલેથી જ યોજના બનાવી છે, જેથી કોઈને પુસ્તકની અછત ન રહે. આવતાં વર્ષથી AIનો સિલેબસ અને પુસ્તકો સમગ્ર દેશમાં એકસરખા હશે. CBSEએ AI કોર્સનો ડ્રાફ્ટ NCERTને મોકલ્યો છે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 7:22 am

અકસ્માત સર્જાયો:વેસુની સ્કૂલની પ્રવાસ બસને અકસ્માત નડ્યો

સુરતના વેસુ વિસ્તારમાં હિલ્સ હાઇ સ્કૂલની પ્રવાસે જતી બસને અકસ્માત નડ્યો છે. આ ઘટના સ્કૂલના પાર્કિંગ વિસ્તારમાં બની હતી, જ્યારે બે સ્કૂલ બસો પાર્ક કરાઈ રહી હતી, ત્યારે એકની બ્રેક ફેંલ થતા બસે સ્કૂલ હોય અને રસ્તામાં ઊભેલા સ્કૂલનો વોચમેનને અડફેતે લઈ લીધો હતો. આ અકસ્માતમાં વોચમેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. વિદ્યાર્થીઓ અને સ્કૂલ સ્ટાફને સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યા હતા અને પોલીસને ઘટનાની જાણ કરી દેવામાં આવી હતી. ઉપરાંત ઈજાગ્રસ્ત વોચમેનને તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ ઘટનાને જોતા સ્કૂલે પ્રવાસ સ્થગિત કરી દીધો હતો. બીજી તરફ જિલ્લા શિક્ષણાધિકારીએ પણ સમગ્ર ઘટનાનો અહેવાલ સ્કૂલ પાસે માંગ્યો છે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 7:20 am

સહેલાણીઓની સુરક્ષામાં વધારો થશે:સુંવાલી બીચ ઉપર પોલીસ વોચ ટાવરનું ઉદ્ઘાટન કરાયું

સુરત શહેર પોલીસ દ્વારા સુરત જિલ્લાના પર્યટન સ્થળ સુંવાલી બીચ ખાતે સહેલાણીઓ અને પર્યટકોની સુરક્ષા અને સલામતી માટે સુંવાલી બીચ પોલીસ ચોકી અને પોલીસ વોચ ટાવરનું પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત અને ધારાસભ્ય સંદીપ દેસાઈએ ઉદ્ઘાટન કર્યું. સુંવાલી બીચ સામાન્ય બીચની ઓળખ ધરાવતું હતું. છેલ્લા બે વર્ષમાં ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના સહયોગથી ગુજરાતના પર્યટન સ્થળમાં સમાવેશ થવા લાગ્યો છે. તેમજ બે વર્ષથી ત્યાંના પ્રવાસીઓ અને પર્યટકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો તેમજ ઘસારો જોવા મળેલ છે. મુલાકાતીઓ અને સહેલાણીઓની સુરક્ષા અને સલામતી માટે હજીરા પોલીસ મથક હેઠળ સુંવાલી બીચ ખાતે આવેલ હયાત પોલીસ ચોકીનું વિસ્તૃતિકરણ કરવા બાબતે ધારાસભ્યની રજૂઆત બાદ મંજૂરી આપતા મળતા પોલીસ ચોકી અને વોચ ટાવરનું સુરક્ષા અને સલામતી અર્થે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 7:19 am

વેસુમાં આચાર્યનો પદવી પ્રદાન કાર્યક્રમ:આચાર્ય બનેલા પદ્મદર્શનજીનો પ્રથમ દિવસે જ વેસુમાં તપોવન ગુરુકુળ બનાવવા સંકલ્પ

વેસુ મહાવિદેહ ધામમાં પદ્મદર્શનવિજયજી અને પદ્મબોધિ વિજયજી મહારાજની આચાર્ય પદવી પ્રદાન કાર્યક્રમમા દેશભરના 3 હજારથી વધુ ભક્તોએ હાજરી આપી હતી. જિનશાસનના રાજા એટલે આચાર્ય મહારાજો તીર્થંકરની ગેરહાજરીમાં આચાર્યોનું એક છત્રી શાસન ચાલતું હોય છે. પ્રેમ-ભુવનભાનુંસૂરિજી મહારાજાના સમુદાયમાં બે આચાર્યોનો ઉમેરો થતાં આચાર્યની સંખ્યા હવે 54 થઈ છે. જૈન શાસનના આચાર્યોની પરંપરા છે કે, નૂતન આચાર્યને જૂના આચાર્યો પોતાના આસન ઉપર બિરાજમાન કરી ત્યારબાદ વંદન કરીને ઘોષણા કરતા હોય છે કે મારી જેમ હવે નૂતન આચાર્યનું તમારે જતન કરવાનું છે. પદ્મદર્શનવિજયજી મહારાજે જણાવ્યું હતું કે શાસન, સમાજ કે સંસ્કૃતિ ઉપર આવતા આક્રમણોની સામે માર્શલ બનીને સુરક્ષા કરવાની સંપૂર્ણ જ્વાબદારી આચાર્યની છે. સૂરિમંત્રનો પટ્ટ, નવકારવાળી, નૂતન આચાર્યનું નામકરણ, ગુરુપૂ જન અને કામળીની ઉછામણી બોલીને ભકતોએ લાભ લીધો હતો. બંને આચાર્યનું નામ આચાર્ય પદ્મદર્શનસૂરિજી અને આ. પદ્મબોધીસૂરિજી નામ ઘોષિત થયું હતું. પંન્યાસ પદમાંથી પદ્મદર્શનસૂરિજી બનેલા આચાર્ય એ જણાવ્યું હતું કે, રાષ્ટ્ર,સંસ્કૃતિ, ધર્મ અને સમાજના સળગતા પ્રશ્નોનું સમાધાન સાધના, આરાધના અને મંત્રજાપ દ્વારા કરીશ.વેસુમાં જૈનો માટે તપોવન ગુરુકુળ સ્કૂલ બનાવવા માટે સંકલ્પ પદ્મદર્શનસૂરિજી એ કર્યો હતો. આચાર્યનું પદ મહત્વનુંજૈન શાસનમાં આચાર્યનું પદ ખૂબ જ મહત્વનું ગણાય છે દીક્ષા બાદ મુની, પછી ગણીવર, પન્યાસ, ઉપાધ્યાય અને પછી આચાર્યની પદવી મળ્યા બાદ ગચ્છાધિપતિની પદવી મળે છે. આચાર્યો ઘણા બધા હોય છે પણ દરેક ગચ્છમાં એક ગચ્છાધિપતિ હોય છે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 7:18 am

ગરીબ લોકોને 250થી વધુ જોડી કપડા અપાયા:સર્વોદય જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા મોરથાણ ગામમાં વસ્ત્રદાન કરાયું

સર્વોદય જનકલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઓલપાડ તાલુકાના મોરથાણ ગામે વસ્ત્રદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરીબ અને જરૂરતમંદ લોકો માટે સમાજના લોકો થકી અને લોકો દ્વારા મળેલા વસ્ત્રો અંતરિયાળ વિસ્તારના ગરીબ અને નિરાધાર લોકોને મળી રહે એ માટે આશરે 250થી વધારે કપડાંની જોડી મોરથાણ ગામના હળપતિવાસ સહિતના ગરીબ વસ્તી ધરાવતા વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ દર્શન નાયકે જણાવ્યું કે ટ્રસ્ટ થકી નાના માણસો સુધી કઈ રીતે પહોંચી શકાય અને કઈ રીતે ગરીબ અને જરૂરતમંદો ને સહાયરૂપ બની શકાય એ માટે સંસ્થા હરહંમેશ પ્રયત્નશીલ છે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 7:17 am

સુધાંશુ મહારાજના સાનિધ્યમાં કાર્યક્રમ:વેસુમાં રવિવારે બાલ આશ્રમ ખાતે ભજન-કિર્તન-સત્સંગ

વિશ્વ જાગૃતિ મિશન મંડળ (બાલ આશ્રમ પરિવાર), અનાથ બાળકોના કલ્યાણ માટે 25થી 28 ડિસેમ્બર સંત સુધાંશુ મહારાજની પવિત્ર સાંનિધ્યમાં એક ભવ્ય ભક્તિ સત્સંગનું આયોજન કરશે. વેસુમાં રિલાયન્સ મોલની સામે, એમસી પ્લોટના રામલીલા મેદાનમાં યોજાશે. સુરત મંડળ બાલ આશ્રમ ના સુપરવાઇઝર આચાર્ય રામકુમાર પાઠકે જણાવ્યું હતું કે સત્સંગની તૈયારીઓ ચાલી રહી છે. રવિવારે સવારે 11 વાગ્યે ભજન-કીર્તન અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહારાજના તમામ અધિકારીઓ અને દીક્ષિત શિષ્યો ભાગ લેશે. સત્સંગ પછી, બપોરે 12:30 વાગ્યે અધિકારીઓ અને કાર્યકરોની બેઠક યોજાશે, જ્યાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવશે અને જવાબદારીઓનું વિતરણ કરવામાં આવશે. સંત સુધાંશુજી મહારાજ દ્વારા મુખ્ય સત્સંગ 25 ડિસેમ્બરે સાંજે 5 થી 7વાગ્યા સુધી યોજાશે. ત્યારબાદ, 26થી 28 ડિસેમ્બર સુધી દરરોજ સવારે 9.30થી 11.30 અને સાંજે 5થી 7 વાગ્યા સુધી સત્સંગ સત્રો યોજાશે. 28 ડિસેમ્બર, રવિવારના રોજ બપોરે 12 વાગ્યે મંત્ર દીક્ષા કાર્યક્રમ યોજાશે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 7:16 am

પાર્સલ ઓફિસ ખાતે રેલવેની વિજિલન્સ ટીમની રેડ:રેલવેના ચીફ પાર્સલ ક્લાર્કના કાઉન્ટરમાં રૂ. 2700 વધુ મળ્યા

રેલવેની વિજિલન્સ ટીમે સુરત સ્ટેશનની પાર્સલ ઓફિસ પર શુક્રવારે રેડ કરી હતી, જેમાં ચીફ પાર્સલ ક્લાર્કના કાઉન્ટરમાં રૂ. 2700 વધારે મળી આવ્યા હતા. આ ક્લાર્ક વેપારીઓ પાસેથી નિયત કરતા વધારે રૂપિયા લેતા હોવાની ફરિયાદ મળી હતી, જેથી વિજિલન્સે ઓચિંતી રેડ કરી હતી. દરમિયાન ટીમે કાઉન્ટર ચેક કર્યું તો રૂ. 2700 વધારે મળી આવ્યા હતા, જેથી તે રોકડ કબજે કરાઈ હતી. હાલમાં ક્લાર્કને સપેન્ડ કરીને કેસ નોંધી વેર્સ્ટન રેલવેમાં મોકલી અપાયો છે. રેલવે તંત્રનું કહેવું છે કે, ભવિષ્યમાં કાયદા વિરુદ્ધનાં આવાં કૃત્યોને અટકાવવા માટે મોનિટરિંગ વધુ કડક કરવામાં આવશે. આ મામલે હાલમાં કાર્યવાહી ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 7:14 am

પાણી સમિતિની પહેલી રિવ્યૂ બેઠકમાં આદેશ:‘અડધાના પાણી જોડાણમાં આખી બિલ્ડિંગો કેવી રીતે બને? 10 દિવસમાં રિપોર્ટ આપો’

ગેરકાયદે પાણી જોડાણો અને બગાડને પગલે પાલિકામાં ચાલુ ટર્મમાં પાણી સમિતિની પહેલી રિવ્યૂ બેઠક મળી હતી. ગેરકાયદે પાણીના બેફામ કોમર્શિયલ વપરાશને રોકવા તેમજ પાણી પુરવઠા સંબંધિત નવા વિસ્તારો સહિત તમામ ઝોનના પ્રોજેક્ટોની સ્થિતિ, હાઇડ્રોલિકના નવા પ્રોજેક્ટ અંગે ચર્ચા કરાઈ હતી. મેયર દક્ષેશ માવાણી, સ્થાયી ચેરમેન રાજન પટેલ, પાણી સમિતિ ચેરમેન હિમાંશુ રાઉલજી, સમિતિ સભ્યો તેમજ કાર્યપાલક ઇજનેરો વચ્ચેની આ બેઠકમાં બાંધકામ સાઇટો, આરઓ પ્લાન્ટો સહિત ગેરકાયદે પાણીના વપરાશને રોકવા તમામ ઝોનમાં ડ્રાઇવનો આદેશ અપાયો હતો. શાસકોનું કહેવું હતું કે, અડધાના પાણી જોડાણમાં આખી બિલ્ડિંગો કેવી રીતે બને? તપાસ કરી 10 દિવસમાં રિપોર્ટ રજૂ કરો. ચૂંટણી હોવાથી ડિસેમ્બરમાં તમામ વિભાગની રિવ્યૂ બેઠકડિસેમ્બરમાં પાલિકાની ટર્મ પૂર્ણ થશે અને એપ્રિલ આસપાસ ચૂંટણીની શક્યતા છે. ત્યારે હવે ખાતા-ઝોન સાથે બેઠકનો ધમધમાટ મહાપાલિકામાં વધશે, આગામી ચૂંટણીને ધ્યાને લઈને પણ અત્યારથી ભાજપ પક્ષ સક્રિય થઈ ને વિવિધ કાર્યક્રમો જારી કરી દીધા છે. ત્યારે પાણી સમિતિની રિવ્યૂ બાદ અન્ય વિભાગો-ઝોનમાં વિકાસ કામો અંગેના રિવ્યૂ કરવામાં આવશે. બોર રિચાર્જ કરો, સોસાયટીમાં ટાંકીઓ આગળ બનાવોકેચ ધ રેઇન ઝુંબેશમાં ખાનગી સોસાયટીના બંધ બોરને રિચાર્જ કરવા તથા છત-ટેરેસ પરથી પડતું વરસાદી પાણી સીધું જમીનમાં ઉતારવા તાત્કાલિક આયોજન કરવા સૂચના અપાઈ હતી. કોઈ પણ સોસાયટીમાં જે છેલ્લાં બિલ્ડિંગ હોય છે તેમાં સૌથી ઓછું પ્રેશર મળતું હોય છે, તેથી હવે પ્લાન પાસ કરતી વખતે જ ટાંકી આગળ મૂકવા ગાઈડલાઇન બનાવવા સૂચના અપાઈ હતી. ભાસ્કર ઇનસાઇટગેરકાયદે કોમર્શિયલ ઉપયોગ હોય ત્યાં બગાડ વધુશહેરમાં પાણી ગેરકાયદે કનેક્શનો ઘણાં વધુ છે, પાલિકાના અંદાજ પ્રમાણે 1.20લાખ જેટલા ભૂતિયા કનેકશનોને પગલે પાણીનો ગેરકાયદે કોમર્શિયલ ઉપયોગ વધી રહ્યો છે તેથી પાણીનો બગાડ પણ વધુ થતો હોવાનું નોંધાયું છે. બાંધકામ સાઈટો, આરઓ પ્લાન્ટો, તપેલા ડાઇંગ મિલ્સ, ઓટો ગેરેજો સહિતના કોમર્શિયલ સંસ્થાઓમાં પાણી નો ગેરકાયદે વેપલો થઈ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 7:13 am

બોગસ પાવર બનાવી સગા ભાઈ સાથે ઠગાઈ કરવાનો કેસ:કનૈયાલાલને 1 દિવસના રિમાન્ડ, ચાલુ હીયરિંગમાં ઓક્સિજન માસ્ક અપાયું

બોગસ પાવર બનાવી મિલકતો ગીરવે મૂકી 2 કરોડ સુધીની લોન લેનારા SDCA (સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસો.)ના પ્રમુખ કનૈયાલાલ કોન્ટ્રાકટરને એક દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. 82 વર્ષના અને 150 કિલો વજન ધરાવતા કનૈયાલાલને વ્હીલચેર પર રજૂ કરાયા હતા, પરંતુ ચાલુ હીયરિંગમાં શ્વાસની તકલીફ થતાં ઓક્સિજન માસ્ક અપાયું હતું. મૂળ ફરિયાદી તરફે એડવોકેટ મનીષ દેસાઈએ દલીલો કરી હતી. આરોપીના રિમાન્ડ મેળવવા રજૂ કરાયેલા મુદ્દા

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 7:12 am

અધિકારીઓના કારણે પાલિકાને કોર્ટમાં શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું:સ્મીમેરના ટેન્ડર મુદ્દે ખુલાસો મંગાતાં આસિ. લો-ઓફિસર પંડ્યાનું રાજીનામું

પાલિકાના લીગલ સેલની નબળાઇ અને સ્મીમેરના જવાબદાર અધિકારીઓની બેદરકારીને પગલે પાલિકાને કોર્ટમાં શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું હતું. સ્મીમેરના 3 કરોડના ટેન્ડર મામલે લીગલ સેલની લાપરવાહી ખુલતાં કમિશનરે આડેહાથ લીધા હતા તેમજ સ્થાયી સમિતિએ સ્મીમેરના તંત્રવાહકો અને પાલિકાના આસિસ્ટન્ટ લો-ઓફિસર મીતુલ પંડ્યાનો ઉધડો લઇ ખુલાસો માંગ્યો હતો, પરિણામે મીતુલ પંડ્યાએ ઓચિંતુ રાજીનામું ધરી દીધું છે. સ્મીમેરમાં સેનિટેશન કામગીરી માટે ટેન્ડર ભરનાર ડી.જી. નાકરાણીએ ખોટી એફિડેવિટ આપતાં તેમને ડીબાર કરાયો હતો, પરંતુ તેણે બીજા ટેન્ડરમાં ફરી અરજી કરી હતી, જેમાં પાલિકાએ નિયમ મુજબ તેમને ડિસ્ક્વોલિફાય કર્યો હતો. બાદ ત્રીજા પ્રયાસમાં સિંગલ ટેન્ડર આવ્યું અને નાકરાણીએ આ વખતે ટેન્ડર ભર્યું જ ન હતું. ભાસ્કર ઇનસાઇટગેરહાજરીનો સીધો લાભ ટેન્ડરરના પક્ષમાં ગયો હતોત્રીજી વખતે નાકરાણીએ ટેન્ડર ભર્યું ન હતું છતાં કોર્ટમાં તેના વકીલ દ્વારા ‘ત્રીજા ટેન્ડરમાં પણ એમને ખોટી રીતે ડિસ્ક્વોલિફાય કરાયા’ એવી દલીલ કરી હતી. આ દલીલ દરમિયાન પાલિકાના વકીલ તેમજ સ્મીમેરના અધિકારીઓ હાજર ન હતા. તેમની ગેરહાજરીનો સીધો લાભ નાકરાણી તરફ ગયો અને કોર્ટે તેમની દલીલ માન્ય રાખતાં પાલિકાને ત્રીજા ટેન્ડરના L-1 સાથે નાકરાણીને પણ સાંભળવા આદેશ કર્યો હતો. આ મામલે સ્થાયી ચેરમેને તમામ જવાબદાર અધિકારીઓ પાસે લેખિત ખુલાસા માંગ્યા છે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 7:11 am

વેધર રિપોર્ટ:પારો અઢી ડિગ્રી વધી 18.8 થતાં ઠંડી ઘટી, બે દિવસ રાહત રહેશે

શહેરમાં છેલ્લા દસેક દિવસથી શિયાળો જામ્યા બાદ હાલમાં ઠંડીમાં સામાન્ય વધ-ઘટ જોવા મળી રહી છે. શુક્રવારે શહેરના લઘુતમ તાપમાનમાં 2.5 ડિગ્રીનો વધારો થતાં રાત્રે અને વહેલી સવારે ઠંડીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. આગામી બે દિવસ શનિવાર અને રવિવારે ઠંડીનો પારો 17 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી છે, જેથી ફુલગુલાબી ઠંડીનો શહેરીજનોએ સામનો કરવો પડે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવારે શહેરનું મહત્તમ તાપમાન 32.1 ડિગ્રી અને લઘુતમ તાપમાન 18.8 ડિગ્રી નોંધાયું હતું. ગઇકાલની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં 0.3 ડિગ્રીનો વધારો અને લઘુતમ તાપમાનમાં અઢી ડિગ્રીનો વધારો નોંધાયો હતો. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 69 ટકા અને સાંજે 55 ટકા નોંધાયું હતું. નોંધનીય છે કે, આ સિઝનમાં હજુ સુધી કોલ્ડવેવનો એક પણ રાઉન્ડ આવ્યો નથી. આગામી અઠવાડિયા સુધી કોઇ સંભાવના પણ નથી, જેથી નવેમ્બરના અંત સુધીમાં 17થી 19 ડિગ્રી વચ્ચે જ સામાન્ય ઠંડી રહેવાની આગાહી છે. સંભવતઃ ડિસેમ્બરમાં જ કડકડતી ઠંડીનો રાઉન્ડ આવે તેવી શક્યતા છે. આ સિઝનમાં સૌથી વધુ ઠંડી 16.4 ડિગ્રી સુધીની નોંધાઇ હતી.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 7:10 am

પરવટ પાટિયાથી ખરવરનગરનો રસ્તો બંધ કરાયો:9 કિમી 25 મિનિટમાં પહોંચાય છે, બ્રિજ બંધ કરાતા 53 મિનિટમાં 19 કિમી ફરવું પડશે

સુરત: મેટ્રોના કામને લઈને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે એક હંગામી જાહેરનામું પ્રસિદ્ધ કરીને 22 નવેમ્બરને શનિવારે રાત્રે 10.00 વાગ્યાથી 24 નવેમ્બરને સોમવારે વહેલી સવારે 4.00 વાગ્યા સુધી પરવટ પાટિયાથી ખરવરનગર (રોકડિયા હનુમાન ચાર રસ્તા) તરફ જતા રોડ-ફ્લાયઓવર પર તમામ પ્રકારનાં વાહનોની અવર-જવર તથા પગપાળા જવા સામે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 9 કિમી 25 મિનિટમાં પહોંચાય છે, બ્રિજ બંધ કરાતા 53 મિનિટમાં 19 કિમીનો ચકરાવો થશે. વૈકલ્પિક રૂટ તરીકે હાઇ-વે તરફથી આવતા વાહનો રેશ્મા સર્કલથી ડિંડોલી થઈ ઉંઘના નવસારી મેઇન રોડ થઈ એરપોર્ટ તરફ જઇ શકશે. (૨) પરવટ પાટિયાથી રિંગ રોડ થઇ સ્ટેશન કે એરપોર્ટ તરફ જઇ શકાશે. (૩) પરવત પાટિયાથી આવતા વાહનો કબૂતર સર્કલથી ડાબે ટર્ન લઇ તથા આઇ માતા તરફથી આવતા વાહનો સીધા વલ્લભચોકથી ડુંભાલ, ઉંઘના રેલ્વે બ્રિજ થઈ જઇ શકશે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 7:09 am

ભાસ્કર ઈનસાઈડ:વડોદરામાં જય માતાજી કહેનારને આપવાનો રૂા.1.43 કરોડનો દારૂ ખંગેલામાં ઝડપાયો

દાહોદ તાલુકાની ખંગેલા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન કતવારા પોલીસે એક કેપ્સુલ કન્ટેનરમાંથી રૂા.1.43 કરોડ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રાજસ્થાનના ચાલક કોહલારામ નિમ્બારામ જાટની ધરપકડ કરી હતી. કુલ રૂા.1,63,54,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કતવારા પોલીસ મથકના પીઆઇ યુએમ ગાવિત, સેકન્ડ પીઆઇ કેએમ માણીયા, પીએસઆઇ વીવી નિનામા અને સ્ટાફ ગતરોજ ખંગેલા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહ્યા હતા. બપોરે 12 વાગ્યાના અરસામાં એમપી તરફથી આવી રહેલા CG-07-CB-0841 નંબરના બંધ બોડીના (કેપ્સુલ) કન્ટેનરને પોલીસે શંકાના આધારે રોક્યું હતું. કન્ટેનરના ચાલક કોહલારામ જાટે વાહન ખાલી હોવાનું જણાવ્યું હોવા છતાં પોલીસે ઝીણવટભરી તપાસ કરતાં કન્ટેનરની બોડીના નીચેના ભાગેથી છુપાવેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તપાસ માટે કન્ટેનરને ટાંડા ઉપર પોસ્ટ ખાતે લઈ જવામાં આવ્યું હતું. જ્યાંથી ઇંગ્લિશ દારૂની કુલ 905 પેટીઓ બહાર કાઢવામાં આવી હતી. આ જથ્થામાં કુલ 10860 બોટલો હતી. જેની કિંમત રૂા.1,43,49,600 આંકવામાં આવી છે. ઝડપાયેલા ડ્રાઇવરે કોહલારામે પોલીસને જણાવ્યું કે તે આ દારૂનો જથ્થો રાજસ્થાનથી ભરીને વડોદરા ખાતે જઈ રહ્યો હતો. ત્યાં તેને ‘જય માતાજી' કહેનાર એક અજાણ્યા વ્યક્તિને આ જથ્થો આપવાનો હતો. પોલીસે રૂા.1,43,49,600ની કિંમતનો દારૂનો જથ્થો, રૂા.5000નો મોબાઇલ, રૂા.20,00,000નું કન્ટેનર મળીને કુલ રૂા.1,63,54,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કતવારા પોલીસે આ પ્રકરણમાં ઝડપાયેલા ડ્રાઇવર કોહલારામ જાટ ઉપરાંત દારૂની હેરફેરના આ ષડયંત્રમાં સામેલ ફોન કરીને જણાવનાર અસ્લારામ ગોરસીયા હોડુ, બાડમેર, રાજસ્થાન, દારૂ ક્યાંથી લઈને ક્યાં આપવાનો છે તે જણાવનાર મનોજસિંહ, રાજસ્થાન, વડોદરાનો અજાણ્યો વ્યક્તિ જેને દારૂ આપવાનો હતો. ગાડીનો માલિક સામે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. કતવારા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે, જેમાં ખાસ કરીને વડોદરાના અજાણ્યા શખ્સ અને ગાડીના માલિકની ઓળખ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યુ છે. દારૂની હેરાફેરી માટે કન્ટેનરની નીચે ખાનું બનાવ્યું હતું બૂટલેગરોએ પોલીસની નજરથી બચવા માટે આ હેરફેર માટે ખાસ તરકીબ અપનાવી હતી. કન્ટેનરની બોડીના વચ્ચેના નીચેના ભાગે પતરાનું એક ગુપ્ત કેબિન બનાવવામાં આવ્યું હતું. જેમાં અંદરની તરફ બે પતરાના દરવાજા પણ ફીટ કરવામાં આવ્યા હતા. જેથી ચેકિંગ દરમિયાન દારૂનો જથ્થો સરળતાથી પકડાય નહીં.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 7:09 am

ભાસ્કર ઈનસાઈડ:SIRની કામગીરીમાં દાહોદ પાલિકાના 70 કર્મચારી જોતરાતા કામો અટવાયાં

દાહોદ પાલિકાના 70 મુખ્ય કર્મચારીઓને મતદાર યાદી સુધારણા SIRની કામગીરીમાં BLO તરીકે જોડવામાં આવ્યા છે. પાલિકાના વેરા, બાંધકામ સહિતના તમામ વિભાગોમાં કર્મચારીઓની અછતને કારણે રોજીંદા કામકાજ સંપૂર્ણપણે અટવાયા છે. શહેરીજનો પોતાના કામ માટે ઓફિસોમાં ધક્કા ખાઈ રહ્યા છે. જેના કારણે વહીવટ સામે નારાજગી વ્યાપી છે. દાહોદમાં શહેરીજનોના રોજીંદા કામકાજ માટેનું મુખ્ય કેન્દ્ર એટલે કે નગરપાલિકાનું તંત્ર છેલ્લા બે દિવસથી સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. વહીવટી તંત્ર દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ SIRની કામગીરીમાં પાલિકાના 70 જેટલા મુખ્ય કર્મચારીઓને જોતરી દેવાતા આ સ્થિતિ સર્જાઈ છે. SIRની આ મહત્વની કામગીરી નવેમ્બરના પ્રથમ સપ્તાહથી શરૂ થઈ છે. પરંતુ પાલિકાના તમામ વિભાગોમાં કર્મચારીઓની અછત ત્યારે વર્તાઈ જ્યારે 19 નવેમ્બર થી 70 કર્મચારીઓને ફરજિયાતપણે આ કાર્યક્રમમાં બૂથ લેવલ ઓફિસર તરીકે જોડી દેવાયા. માત્ર બે દિવસમાં જ નગરપાલિકાની ઓફિસોમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. વેરા વિભાગ હોય કે બાંધકામ શાખા, દરેક જગ્યાએ અનુભવી સ્ટાફની ગેરહાજરીથી લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે. શહેરીજનો પોતાના રોજીંદા કામ માટે નગરપાલિકાની ઓફિસોમાં આવી રહ્યા છે પરંતુ મુખ્ય કર્મચારીઓ ફરજ પર ન હોવાથી તેમને નિરાશ થઈને પરત ફરવું પડી રહ્યું છે. કઇ કામગીરી અટવાઇ. બાંધકામ શાખા : મંજૂરી માટેની ફાઈલો યથાવત પડી છે.. વેરા શાખા : વેરા ભરવા કે સુધારો કરાવતા નાગરિકોને યોગ્ય પ્રતિસાદ મળતો નથી.. વહીવટી વિભાગ : જન્મ-મરણના પ્રમાણપત્રો અને અન્ય દસ્તાવેજી કામમાં વિલંબ.. સફાઇ વિભાગ : મોનીટરીંગ વગર જ સફાઇ કામગીરી.. દિવાબત્તી : બંધ સ્ટ્રીટ લાઇટો શરૂ નહીં થતાં અંધારપટ વઠવો પડશે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 7:07 am

ભાસ્કર ઈનસાઈડ:રતનમહાલ અભયારણ્યમાં વાઘનું સંરક્ષણ જળવાય, સાથે તેની અવરજવરની પેટર્ન, સુરક્ષા સુનિશ્ચિત કરો

દાહોદમાં વન, પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને વાહનવ્યવહાર વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી પ્રવિણભાઈ માળીએ મહત્ત્વપૂર્ણ પ્રવાસ કાર્યક્રમ યોજી નાયબ વન સંરક્ષકકચેરી, દાહોદની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ રતનમહાલ અભયારણ્ય વિસ્તારમાં તાજેતરમાં જોવા મળેલા વાઘની હાજરીને લઈને તાત્કાલિક સમીક્ષા અને સુરક્ષા આયોજન કરવાનો હતો. મંત્રીશ્રીએ DCF કચેરી ખાતે દાહોદ, દેવગઢ બારીયા તથા વન્યજીવ સર્કલ વડોદરાના નાયબ વન સંરક્ષકો, મદદનીશ વન સંરક્ષકો અને પરિક્ષેત્ર વન અધિકારીઓ સહિત ફિલ્ડ સ્ટાફ સાથે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન, મંત્રી પ્રવિણભાઈ માળીએ રતનમહાલના જંગલોમાં વાઘની અવરજવરની પેટર્ન, તેની સુરક્ષા સુનિશ્ચિત કરવાના પગલાં અને ખાસ કરીને સ્થાનિક લોકોની સલામતી માટે લેવામાં આવનારા આયોજનો વિશે વિગતવાર માહિતી મેળવી હતી. મંત્રીએ અધિકારીઓને આદેશ આપ્યો હતો કે વાઘનું સંરક્ષણ જળવાય અને માનવ-વન્યજીવ સંઘર્ષની પરિસ્થિતિ ટાળી શકાય તે માટે જરૂરી આયોજન તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવે. રતનમહાલ જેવા ગુજરાતના જંગલોમાં વાઘની હાજરી એ સમગ્ર વન્યજીવ સંરક્ષણ માટે એક સકારાત્મક સંકેત છે. સમીક્ષા બેઠક પૂર્ણ થયા બાદ મંત્રી પ્રવિણભાઈ માળીએ નાયબ વન સંરક્ષક કચેરીના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. નીલગાયથી થતા પાકનષ્ટ માટે ગ્રામજનોની હૈયાવરાળમંત્રી પ્રવીણ માળીએ દેવઝરી મહાદેવના દર્શન કરી મંદિરના પ્રાંગણમાં એક અનોખી ખાટલા સભાનું આયોજન કર્યું હતું. જ્યાં વિવિધ ગામોના સરપંચો અને ગ્રામજનોએ સીધી રજૂઆતો કરી હતી. આ સભામાં ગ્રામજનોએ જમીન સંબંધિત મુદ્દાઓ, રસ્તાઓના મરામતની જરૂરિયાત, તળાવ બનાવવાની માંગણીઓ, ગ્રામ્ય સુવિધાઓની ઉણપ અને નીલગાયથી થતા પાકનષ્ટ જેવા મહત્વના પ્રશ્નો મંત્રી સમક્ષ રજૂ કર્યા હતા. મંત્રી પ્રવિણભાઈ માળીએ તમામ રજૂઆતો ધ્યાનથી સાંભળીને ત્વરિત પગલાં લેવાની ખાતરી આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 7:06 am

કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક:ભાજપનું શાસન છતાં તેમના જ ધારાસભ્યોની ફરિયાદો,ગેરકાયદે દબાણો, અનાજ ઓછું મળે છે, સુવિધા કેન્દ્રો ઓછા

ધારાસભ્યો, પદાધિકારીઓ તથા કલેક્ટર વચ્ચે યોજાયેલી જિલ્લા સંકલન-ફરિયાદ સમિતિની બેઠકમાં કલેક્ટરે રજૂઆતોનો અસરકારક નિકાલ કરવા પર ભાર મુક્યો હતો. જો કે, ભાજપનું જ શાસન હોવા છતાં તેમના જ ધારાસભ્યોની ફરિયાદો હતી કે, ‘ગેરકાયદે દબાણો, અનાજ ઓછું મળે છે, સુવિધા કેન્દ્રો ઓછા છે’ ધારાસભ્ય વિનુ મોરડીયાએ કહ્યું હતું કે, ‘રેશનિંગ દુકાનોમાં મળતી ચીજવસ્તુઓની યાદી બહાર બોર્ડ પર દર્શાવો. કલેક્ટરે પુરવઠા અધિકારીને સૂચના આપી હતી. તેમણે પંડોળની ડાઇંગ મિલો રાત્રે કેમિકલયુક્ત પાણી ગટરમાં છોડાતી હોવાની તેમજ શુભલક્ષ્મી ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટના અવાજ-પ્રદૂષણનો ઉકેલ લાવવા રજૂઆત કરી હતી. કયા ધારાસભ્યએ શું કહ્યું... બેઠકમાં ખાડીપૂર લાવતા દબાણોનો મુદ્દો પણ ગાજ્યો બાળકો માટે તરણકુંડ બનાવો પૂર્ણેશ મોદીએ બેઠકમાં નાનાં બાળકો માટે નવો તરણકુંડ બનાવવા માટે તેમજ રાંદેર વિસ્તારની હેતલ નગર સોસાયટીનો સૂચિત સોસાયટી યોજના અંતર્ગત ઝડપથી સમાવેશ કરવા ઝડપથી કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી. વેરામાં શિક્ષણ કરની સ્પષ્ટતા કરો ​​​​​પ્રવિણ ધોધારીએ વિશેષ ધારાની જમીન બાબતે મહેસૂલમાં થતી નાણાં ભરપાઈ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં વ્યાજ માફ કરવાની માંગ કરી હતી. સાથે પાલિકાની વેરાબિલમાં શિક્ષણ કર અંગે સ્પષ્ટતા કરવા રજૂઆત કરી હતી. ઉદ્યોગોનું ખાડીમાં પ્રદૂષણ મનુ પટેલે કહ્યું કે, પાંડેસરા GIDCમાં પ્રદૂષિત પાણી ખાડીમાં છોડતા એકમો સામે નીતિ અમલમાં લાવવી જરૂરી છે. ઉપરાંત ખાડી પરનું દબાણ દૂર કરવા કહ્યું હતું. કલેકટરે GPCBને સેમ્પલ લઇ કાર્યવાહી કરવા સૂચના આપી હતી. અશાંતધારામાં ઝડપી નિર્ણય લાવો અરવિંદ રાણાએ અશાંતધારાના કેસોમાં ઝડપથી નિર્ણય લાવી, વૃદ્ધ સહાય અને ગંગાસ્વરૂપ બહેનોને E-KYC માટે મુશ્કેલી પડતી હોવા બાબતે ફરિયાદ કરી હતી. નાગરિક સુવિધા કેન્દ્ર બનવું જરૂરી સંગીતા પાટીલે લિંબાયતમાં વસતી વધતા નાગરિક કેન્દ્ર, મામલતદાર કચેરી શરૂ કરવા રજૂઆત કરી હતી. અડાજણ, કતારગામમાં કેન્દ્રો ઉભા કરાય છે તો લિંબાયતમાં કેમ નહીં?

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 7:06 am

તબિયત લથડવાનો બનાવ:SIRની કામગીરીના દબાણથી વધુ એક બીએલઓની તબિયત લથડી

દાહોદ જિલ્લામાં SIR સંબંધિત કામગીરીના અતિશય ભારણ અને દબાણને કારણે વધુ એક બૂથ લેવલ ઓફિસર (BLO)ની તબિયત લથડવાનો બનાવ સામે આવ્યો છે. સાદેડા વર્ગ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને BLOની કામગીરી કરતા ડામોર બચુભાઈ પાર્સિંગભાઈની તબિયત આજે સ્કૂલ ખાતે અચાનક બગડી હતી અને તેઓ સ્થળ પર જ લથડી પડ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ ચૂંટણી સંબંધિત BLOની વધારાની કામગીરીના દબાણને કારણે શિક્ષક બચુભાઈ ડામોરની તબિયત લથડી હોવાનું જાણવા મળ્યું છે. સરકારી શિક્ષકોને ચૂંટણીલક્ષી અને વહીવટી કામગીરીઓનું ભારણ સોંપવામાં આવતા હોવાથી સતત કામગીરીના દબાણ હેઠળ તેમની શારીરિક અને માનસિક સ્થિતિ પર અસર થઈ રહી છે, જેના કારણે આવા બનાવો સતત સામે આવી રહ્યા છે. ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાની મદદ લેવામાં આવી હતી અને શિક્ષક ડામોર બચુભાઈને સારવાર અર્થે રીધમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જિલ્લામાં BLOની કામગીરી કરી રહેલા કર્મચારીઓના સ્વાસ્થ્યને અસર થવાનો આ વધુ એક બનાવ છે. જેના કારણે આ વધારાના કાર્યભાર અંગે કર્મચારી આલમમાં ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 7:05 am

ભાસ્કર ઈનસાઈડ:એમજીવીસીએલની અંડરગ્રાઉન્ડ કામગીરીમાં ગેસ લાઇન તૂટતાં લીકેજ

દાહોદ નજીક આવેલા દેલસર ગામ પાસેથી પસાર થતી દાહોદથી ખરેડી તરફ જતી ગુજરાત ગેસની લાઇનમાં આ લીકેજની ઘટના બની હતી. આ લીકેજ ત્યારે થયું જ્યારે MGVCL દ્વારા તે વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ લાઇન નાખવાની કામગીરી હાઇડ્રોલિક મશીનની મદદથી ચાલી રહી હતી. હાઇડ્રોથી કામ કરતી વખતે અકસ્માતે ગેસની લાઇનને નુકસાન થતાં ગેસ લીક થવા લાગ્યો હતો. રસ્તાની નજીક ગેસ લીકેજ થતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે તકેદારીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે વાહન વ્યવહાર થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. આના કારણે રસ્તા પર વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ગુજરાત ગેસ કંપનીના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને લાઇનમાંથી ગેસનો સપ્લાય તાત્કાલિક બંધ કરાવ્યો હતો. ગેસનો સપ્લાય બંધ થતાં લીકેજ થવાનું જોખમ ટળ્યું હતું. જેના કારણે આસપાસના રહેવાસીઓ અને વાહનચાલકોએ હાશકારો અનુભવ્યો હતો. હાલમાં ગુજરાત ગેસ કંપનીના કર્મચારીઓ દ્વારા ગેસ સપ્લાય પૂર્વવત કરવા લીકેજ થયેલી પાઇપલાઇનને રીપેર કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરાઇ હતી. લીક ગેસના અવાજે ભય ફેલાવ્યો‎‎મુખ્ય ગેસ લાઇન લીક‎‎થતાં હાઈ-પ્રેશર ગેસ‎બહાર નીકળવા લાગ્યો હતો, જેના કારણે એક જોરદાર‎અને ભયાનક અવાજ આવવા લાગ્યો હતો. આ તીવ્ર‎અવાજ સાંભળીને આસપાસના લોકોમાં ભારે ગભરાટ‎ફેલાયો હતો. જોકે, સદભાગ્યે કોઈ મોટી દુર્ઘટના થઈ‎નહોતી અને ઘટના સ્થળે આગ લાગી ન હતી, જેના‎કારણે જાનમાલનું નુકસાન થતું અટક્યું હતું.‎ ગંધ આવે તો ગેસ કંપનીને જાણ કરવી ગેસ લીકેજના અવાજ કે ગંધ આવે તો ગભરાટ ટાળીને તાત્કાલિક 108, ફાયર બ્રિગેડ અને ગેસ કંપનીને જાણ કરવી. લીકેજ સ્થળેથી સલામત અંતરે ખસી જવું અને સ્પાર્ક થવાના ડરથી જો ઘર નજીક હોય કે માર્ગની નજીક ઘટના બની હોય તે સ્થળથી સમીપ હોય તો ઇલેક્ટ્રિક સ્વીચો અને મોબાઈલનો ઉપયોગ ટાળવો.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 7:04 am