ભરૂચમાં 6 ડિસેમ્બરના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિને ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા, ભરૂચ જિલ્લા દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. રેલવે સ્ટેશન નજીક ડૉ. આંબેડકરની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી મનીષા વકીલ અને હેમાલી બોધાવાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ડૉ. આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ, ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટીવ બેંક ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવનચરિત્ર, તેમના વિચારો અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના અસાધારણ યોગદાન અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યકક્ષાના મંત્રીઓએ રાષ્ટ્રીય દિશા નિર્માણમાં ડૉ. આંબેડકરની ભૂમિકાનો વિગતે ઉલ્લેખ કર્યો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, શહેર પ્રમુખ જતીન શાહ, અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ કનુ પરમાર, બીપીન સોલંકી સહિત ભાજપના હોદ્દેદારો, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સરકારના શિક્ષણ વિકાસને વેગ આપવા માટે શરૂ કરાયેલા ટ્વિનિંગ કાર્યક્રમ અંતર્ગત પોરબંદરની પી.એમ.શ્રી નવાપરા પ્રાથમિક શાળા, છાયા અને મહારાણી રુપાળી બા કન્યા શાળા વચ્ચે દ્રિ-દિવસીય કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન નવાપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ રુપાળી બા કન્યા શાળાની મુલાકાત લીધી હતી. શાળામાં પહોંચતા વિદ્યાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં વિદ્યાર્થીઓને વિવિધ વર્ગખંડો, સ્માર્ટ ક્લાસરૂમ સહિત શાળાની વિશેષતાઓનું નિદર્શન કરાવવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ સુંદર નાટક પ્રસ્તુત કર્યું તેમજ વિવિધ રમતોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. દરેક વિદ્યાર્થીને પ્રોત્સાહન સ્વરૂપે ઇનામો આપવામાં આવ્યા હતા. બીજા દિવસે, રુપાળી બા કન્યા શાળાના વિદ્યાર્થીઓ નવાપરા પ્રાથમિક શાળા, છાયા ખાતે આવ્યા હતા. મુલાકાતની શરૂઆત પ્રાર્થના સાથે થઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ ભજનો, નાટકો, સ્વ-રક્ષણની પ્રવૃત્તિઓ તેમજ લેઝીમ-રાસની આકર્ષક પ્રસ્તુતિ કરી હતી. શાળાનું નિદર્શન, પ્રોજેક્ટ પ્રસ્તુતિ તેમજ સુંદર રીતે સજાવેલા વર્ગખંડોનું નિદર્શન પણ મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણ બન્યું હતું. અંતે સુંદર રમતો રમાડવામાં આવી અને વિદ્યાર્થીઓને બોલપેન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે, આચાર્યા શ્રીમતી હીરલબેન દાસાએ બંને શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ભવિષ્યમાં આવા વધુ શૈક્ષણિક અવસરોનું આયોજન કરવાની આશા વ્યક્ત કરી હતી.
સેનાના જવાનોના અપ્રિતમ સાહસ, શૌર્ય અને અનન્ય બલિદાનનું સ્મરણ કરવા અને તેમનું સન્માન કરવાના હેતુસર, દર વર્ષે વર્ષ 7 ડિસેમ્બરના રોજ 'સશસ્ત્ર સેના ધ્વજ દિન'ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે સુરેન્દ્રનગર ખાતે સશસ્ત્ર સેના ધ્વજ દિન અંતર્ગત જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી દ્વારા ભંડોળ એકત્ર કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો શુભારંભ જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલના હસ્તે ફાળો એકત્રિત કરીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સશસ્ત્ર સેના ધ્વજદિનનું મહત્વ સમજાવતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, આપણા સૈનિકો પોતાના પ્રાણની પરવા કર્યા વિના દેશના સીમાડાઓ અને રાષ્ટ્રના સર્વભૌમત્વનું રક્ષણ કરે છે. યુદ્ધની સ્થિતિ હોય કે શાંતિના સમયે કાયદો અને વ્યવસ્થાની જાળવણી, અથવા કુદરતી કે માનવસર્જિત આપત્તિઓ હોય, નાગરિકોની સુરક્ષા અને સહાયતા માટે આપણા જવાનો હંમેશા ખડે પગે સેવા બજાવે છે. આ ફરજ દરમિયાન અનેક જવાનો શારીરિક ક્ષતિનો ભોગ બને છે અથવા વીરગતિ પામે છે. આવા ઇજાગ્રસ્ત, નિવૃત કે શહીદ જવાનોના પરિવારોની પડખે ઊભા રહી તેમના પુનર્વસનમાં મદદરૂપ થવું એ આપણા સૌની સામાજિક જવાબદારી છે. વધુમાં જિલ્લા કલેક્ટરે જિલ્લાના તમામ નાગરિકોને નમ્ર અપીલ કરતા જણાવ્યું હતું કે, આ વીર જવાનો અને તેમના આશ્રિતોના કલ્યાણ અર્થે એકત્રિત કરવામાં આવતા આ ભંડોળમાં આત્મીયતા અને ઉદારતા સાથે યથાશક્તિ યોગદાન આપીએ અને આપણા જાંબાઝ જવાનો પ્રત્યે આદર અને સન્માનની લાગણી વ્યક્ત કરીએ. નાગરિકોએ દાન/ફાળો જમા કરાવવા માટે નીચે મુજબના બેંક ખાતામાં ડિજિટલ માધ્યમથી અથવા બેંકમાં જઈને સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળમાં રકમ જમા કરાવી શકાશે. ખાતાનું નામ:-'કલેક્ટર અને પ્રમુખ એ.એફ.એફ.ડી. ફંડ એકાઉન્ટ, સુરેન્દ્રનગર’બેંકનું નામ:-સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, વાદીપરા બ્રાન્ચ, સુરેન્દ્રનગરખાતા નંબર:- 42362667719IFSC Code:- SBIN0060101
પોરબંદર સ્થિત રામકૃષ્ણ મિશન દ્વારા ‘Arise, Awake: The Swami Vivekananda Challenge!’ નામની ક્વિઝ અને વ્યક્તિત્વ વિકાસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ સ્વામી વિવેકાનંદના જીવનમૂલ્યો અને વ્યક્તિત્વ નિર્માણનો સંદેશ યુવા પેઢી સુધી પહોંચાડવાનો હતો. પોરબંદરની 15થી વધુ શાળાઓમાંથી કુલ 2600થી વધુ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદના દેશપ્રેમ, સંકલ્પશક્તિ, આધ્યાત્મિકતા, સ્વવિશ્વાસ અને સેવાભાવ જેવા મૂલ્યોથી પરિચિત કરાવવાનો હતો. પ્રશ્નોતરી દ્વારા સ્વામીજીના જીવનપ્રસંગો, ચિંતન, સમાજસેવા, યુવાશક્તિના માર્ગદર્શન અને આધ્યાત્મિક અભિગમને આવરી લેવામાં આવ્યા હતા. દરેક શાળા અને કેટેગરીમાંથી શ્રેષ્ઠ ત્રણ વિજેતાઓની પસંદગી કરીને તેમને પારિતોષિકો એનાયત કરવામાં આવ્યા હતા. તમામ શાળાઓમાં હર્ષોલ્લાસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું અને વિદ્યાર્થીઓએ સ્વામી વિવેકાનંદના જીવન વિશે વધુ જાણવાની ઉત્સુકતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન, રામકૃષ્ણ સંપ્રદાયના એક સંન્યાસીએ વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદના પ્રેરણાદાયી વિચારો, જીવનપ્રસંગો અને આત્મનિર્ભરતા તરફ દોરી જતા ઉપદેશોથી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિદ્યાર્થીઓએ તેમના વચનોને ઉત્સાહપૂર્વક સ્વીકાર્યા અને વ્યક્તિત્વ વિકાસ તરફ પ્રેરતા સંદેશાઓથી પ્રભાવિત થયા હતા. આ સ્પર્ધાનો આગામી તબક્કો એ છે કે તમામ શાળાના વિજેતાઓ હવે રામકૃષ્ણ મિશન, પોરબંદર ખાતે યોજાનારી ઇન્ટરસ્કૂલ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેશે. વિવિધ શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ એક મંચ પર આવી સ્વામી વિવેકાનંદના જીવનમૂલ્યો આધારિત ક્વિઝ સ્પર્ધામાં પ્રતિસ્પર્ધા કરશે. શાળાઓના પ્રાચાર્યો અને શિક્ષકોએ આ કાર્યક્રમની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે આવા મૂલ્ય આધારિત કાર્યક્રમો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, સકારાત્મક વિચારધારા અને વ્યક્તિત્વ નિર્માણમાં અત્યંત સહાયક સાબિત થાય છે. ભવિષ્યમાં પણ આવા પ્રેરણાદાયી કાર્યક્રમોનું વધુ વિસ્તરણ થવું જોઈએ તેવી અભિવ્યક્તિ તેમણે કરી હતી.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભારતીય વાયુસેનાના સહયોગથી ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે યોજાનાર આ કાર્યક્રમ દરમ્યાન સૂર્યકિરણ ટીમનો એર શો સાથે 'આકાશગંગા'નાં જવાનો ચાલુ વિમાનમાંથી જમ્પ કરશે. તેમજ એરપોર્ટ બેન્ડ અને વાયુસેનાનું શસ્ત્રપ્રદર્શન યોજાશે. ભારતીય વાયુસેનાનાં ચાર વિભાગોનું એકસાથે પ્રદર્શન એ એક ઐતિહાસિક ઘટના છે. અગાઉ પીએમ મોદીની હાજરીમાં કેવડિયામાં આ પ્રકારનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ મનપાનાં પ્રયાસોથી રાજકોટને આ અનોખા કાર્યક્રમની યજમાની કરવાનો મોકો મળ્યો છે. આજે વાયુસેનાનાં જવાનોએ આ કાર્યક્રમની ફુલડ્રેસ રિહર્સલ કરી હતી. અને શસ્ત્રોનું પ્રદર્શન બે દિવસ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આ મેગા ઇવેન્ટની વિગતો આપતા જણાવ્યું હતું કે, IAF દ્વારા રાજકોટ માટે કુલ 5 વસ્તુઓ મંજૂર કરવામાં આવી છે. 7 મેના રોજ મુખ્ય કાર્યક્રમ છે. જેની આજે રિહર્સલ કરાઈ હતી. આ એર શોમાં ભારતીય વાયુસેનાની 4 પ્રવૃત્તિઓ એકસાથે યોજાઈ રહી છે, જે ખૂબ જ દુર્લભ ઘટના છે. કાર્યક્રમોમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમનો ભવ્ય એર શો (સ્ટેટિક ડિસ્પ્લે સાથે), આકાશગંગા સ્કાયડાઇવિંગ ટીમનું હેલિકોપ્ટર દ્વારા પરફોર્મન્સ, એરફોર્સ બેન્ડનું પ્રદર્શન અને IAFના શસ્ત્રોનું સ્ટેટિક ડિસ્પ્લે સામેલ છે. પાર્કિંગ એરિયામાં મિસાઇલ લોન્ચરથી લઈને એરફોર્સના વિવિધ વેપન્સનું પ્રદર્શન 2 દિવસ માટે જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને સશસ્ત્ર દળો અને ખાસ કરીને એરફોર્સમાં કારકિર્દી બનાવવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. સુમેરાએ જણાવ્યું કે, રાજકોટમાં આવુ આયોજન પહેલીવાર થઈ રહ્યું છે, અને એકસાથે સૂર્યકિરણ, આકાશગંગા, બેન્ડ અને સ્ટેટિક ડિસ્પ્લેનું સંયોજન બહુ જ ભાગ્યે જ જોવા મળે છે. રાજકોટને આવું સન્માન આપવા બદલ તેમણે એરફોર્સનો આભાર વ્યક્ત કર્યો હતો. આ મેગા ઇવેન્ટ માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. મ્યુ. કમિશનરે જણાવ્યું હતું કે તેઓ 1 લાખથી વધુ લોકોની ભીડની અપેક્ષા રાખી રહ્યા છે. આ માટે વ્યુઇંગ એરિયા, પાર્કિંગની જગ્યાઓ અલગથી નક્કી કરવામાં આવી છે. આખા વિસ્તારમાં સ્ક્રીન્સ અને સાઉન્ડ સિસ્ટમ્સ પણ લગાવવામાં આવી છે, જેથી મોટી સંખ્યામાં આવનારા બધા લોકોને કાર્યક્રમ જોવામાં અને સાંભળવામાં સરળતા રહેશે. પાર્કિંગ સહિતની તમામ વિગતવાર વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. સૂર્યકિરણ એરોબિટીક ટીમનાં ફ્લાઈટ લેફ્ટનન્ટ કમલ સંધુએ જણાવ્યું હતું કે, હું સૂર્યકિરણ એરોબેટિક ટીમની કોમેન્ટેટર છું. અમે ટીમની સાથે અહીં રાજકોટ પહોંચી ગયા છીએ. રાજકોટના આકાશમાં 9 ફાઇટર જેટ્સ, જે ભારતીય વાયુસેનાના સૌથી શ્રેષ્ઠ ફાઇટર પાઇલટ્સ દ્વારા ઉડાડવામાં આવશે, તેવું પહેલીવાર થવા જઈ રહ્યું છે.આ શો તમને આજે 11 વાગ્યાથી શરૂ થતો જોવા મળશે. તમને એવા એરોબેટિક સ્ટન્ટ્સ જોવા મળશે જે તમે આ પહેલાં ક્યારેય નહીં જોયા હોય. આ એરોબેટિક ડિસ્પ્લેને અંજામ આપનારા ભારતીય વાયુસેનાના સૌથી શ્રેષ્ઠ ફાઇટર પાઇલટ્સ છે. તેઓએ 6 થી 8 મહિનાની કઠોર તાલીમ લીધી છે અને ખૂબ મહેનત કરી છે. જેના કારણે તેઓ આ શો કરવા માટે તૈયાર થયા છે. અમે ખૂબ જ ઉત્સાહિત છીએ અને રાહ જોઈ રહ્યા છીએ કે ક્યારે અમે અમારો શો શરૂ કરીએ. અહીં દર્શકો પણ વધુને વધુ સંખ્યામાં આવી રહ્યા છે. આજે અમારી પહેલી પ્રેક્ટિસ છે અને કાલે ફિનાલે છે, જે અહીં અટલ સરોવરના આકાશમાં રહેશે. આવતીકાલે શો સવારે 10 વાગ્યાથી શરૂ થઈ જશે, તેથી આપ સૌને વિનંતી છે કે સમયસર અહીં આવીને સ્થિત થઈ જાઓ અને આ એરોબેટિક શોનો આનંદ લો. તિરંગા સ્ટંટ વિશે તેઓએ જણાવ્યું કે, હાલમાં જ આ એરક્રાફ્ટ્સમાં મોડિફિકેશન થયું છે, જેનાથી તે આકાશમાં કલર્ડ સ્મોક (રંગીન ધુમાડો) દર્શાવે છે. આ કલર્ડ સ્મોક ભારતના તિરંગાના જ રંગોનો છે, અને તમે જોશો કે કેવી રીતે આ ફાઇટર જેટ્સ રંગીન ધુમાડાથી આકાશમાં ભારતનો તિરંગો લહેરાવશે. રાજકોટમાં આવું પહેલીવાર થવા જઈ રહ્યું છે, તેથી આ એક ઐતિહાસિક દિવસ છે. વધુમાં તેમણે જણાવ્યું કે, સૂર્યકિરણ ટીમના 9 હોક વિમાનો રાજકોટના આકાશમાં પહોંચશે અને પાયલટ્સ દ્વારા અહીં 40 મિનિટ સુધી દિલધડક કરતબો રજૂ કરવામાં આવશે. દર્શકો વિમાનોના સિગ્નેચર ફોર્મેટ સ્ટંટ્સ જેમ કે ડાયમંડ ફોર્મેશન, ભારતના સ્વદેશી તેજસ વિમાનની આકૃતિ, લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, અને ઇન્વર્ટેડ ફોર્મેશન ડીએનએ જેવા અદ્ભુત સ્ટંટ્સ જોઈ શકશે. પાયલટ્સ માત્ર 5 મીટરથી ઓછા અંતરે વિમાનો ઉડાડીને તેમની ચોકસાઈ, શિસ્ત અને ટીમ સ્પિરિટનું જીવંત પ્રદર્શન કરશે. આ 9 હોક વિમાનો આકાશને તિરંગાના રંગથી રંગીન બનાવીને યુવાનોને ભારતીય સશસ્ત્ર દળોમાં જોડાવા માટે પ્રેરણા પૂરી પાડશે. ભવ્ય એર શોનું રિહર્સલ યોજાયું ભારતીય વાયુસેનાની વિશ્વવિખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા યોજાનારા ભવ્ય એર શોનું આજે રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ વખત શહેરના નાગરિકોને પ્રતિષ્ઠિત એર ફોર્સ બેન્ડનું આકર્ષક લાઇવ પરફોર્મન્સ માણવાની પણ તક મળી હતી. ઉપરાંત, આ કાર્યક્રમમાં વધુ એક રોમાંચક આકર્ષણનો ઉમેરો થયો છે. જેમાં ભારતીય વાયુસેનાની પ્રતિષ્ઠિત આકાશ ગંગા સ્કાયડાઈવિંગ ટીમનું રોમાંચક લાઇવ પ્રદર્શન પણ જોવા મળ્યું હતી. આ ટીમના જાંબાઝ જવાનોએ ઉડતા વિમાનમાંથી આશરે 8000 ફૂટની ઊંચાઈએથી પેરાશુટ સાથે આકાશમાં દિલધડક જમ્પ લગાવ્યા હતા, જે દર્શકો માટે અવિસ્મરણીય અનુભવ બની રહેશે. આજે કરાયેલા રિહર્સલ બાદ આવતીકાલે પણ એર શો અને આકાશગંગા ટીમના સ્કાયડાઇવિંગનાં કરતબો જોવા મળશે. અટલ સરોવર આસપાસના સ્માર્ટ સીટીના વિસ્તારમાં રવિવાર 7 ડિસેમ્બરે સવારે 10 વાગ્યે આ ખાસ કાર્યક્રમ યોજાનાર છે. મુખ્ય કાર્યક્રમની પૂર્વ તૈયારીમાં આજરોજ સૂર્યકિરણ એર-શોનું ફૂલ ડ્રેસ રિહર્સલ યોજાયું હતું. આ દરમિયાન વાયુસેનાનાં જવાનોએ આકાશમાં અવનવા કરતબો દર્શાવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન શહેરના નાગરિકો માટે સંપૂર્ણપણે વિનામૂલ્યે રાખવામાં આવ્યું છે. જેમાં એર-શો અને શસ્ત્ર પ્રદર્શન નિહાળવા માટે કોઈ ટિકિટ કે પાસની આવશ્યકતા નથી. આજે સવારે 10:00 કલાકે વેપન ડિસ્પ્લેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આવતીકાલે રવિવારે યોજાનાર કાર્યક્રમો આવતીકાલે રવિવારે મુખ્ય કાર્યક્રમમાં એરફોર્સ બેન્ડના પરફોર્મન્સ દ્વારા સ્વાગત કરાશે. બાદમાં C-295 એરક્રાફ્ટ ફ્લાયપાસ થશે અને આકાશ ગંગા સ્કાયડાઈવિંગ ટીમ દ્વારા આકાશમાંથી જમ્પ કરી પરફોર્મન્સ કરવામાં આવશે. જમ્પ કરેલા જવાનોને હેલિકોપ્ટર MI-17V5 દ્વારા વિંગસિંગ ઓપરેશન કરીને એરલિફ્ટ કરવામાં આવશે. ત્યારબાદ એરફોર્સ બેન્ડ પરફોર્મન્સ કરશે અને અંતે આકાશમાં ભવ્ય સૂર્યકિરણ એર-શો યોજાશે. આ વિશાળ કાર્યક્રમો રાજકોટના આકાશ અને ધરતી બંનેને દેશપ્રેમ, ગૌરવ અને સંગીતની સુંદરતાથી રંગીને શહેર માટે ઐતિહાસિક ક્ષણો સર્જશે. મુખ્ય કાર્યક્રમની વિશેષતાઓમાં ભારતીય વાયુસેનાની વિશ્વપ્રસિદ્ધ 'Suryakiran Aerobatic Team' આકાશમાં તેમના શૌર્ય, ચોકસાઈ અને તાલમેલના અનોખા કૌશલ્યનું પ્રદર્શન કરશે. આકાશમાં બનતી સુંદર રચનાઓ, ગતિ, ઝડપ અને પાયલોટ્સની કુશળતા નાગરિકો માટે રોમાંચક દૃશ્ય સર્જશે. એડ્રેનાલિન ભરેલા લૂપ્સ, બ્રેક મેન્યુવર્સ, વિંગ ફોર્મેશન્સ અને હાઇ-સ્પીડ પાસેસ એ કાર્યક્રમનાં મુખ્ય આકર્ષણોમાં રહેશે. આ ઉપરાંત, પ્રતિષ્ઠિત એર ફોર્સ બેન્ડ દ્વારા દેશભક્તિ ગીતો, પ્રખ્યાત મિલિટરી બેન્ડ ટ્યૂન્સ, આધુનિક સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટલ્સ અને વિશેષ વાયુસેના થીમ મ્યુઝિકના મુખ્ય વિભાગો રજૂ કરવામાં આવશે. રાજકોટ શહેર માટે ગૌરવનો વધુ એક ક્ષણ ઉમેરાતા ભારતીય વાયુસેનાની પ્રતિષ્ઠિત આકાશ ગંગા સ્કાય ડાઈવિંગ ટીમ પોતાના આંખને ચમકાવી દે તેવા પ્રદર્શન સાથે હાજર રહેશે. આકાશ ગંગા સ્કાયડાઈવિંગ ટીમ દેશ-વિદેશમાં અનેક વાર પોતાની કૌશલ્યપૂર્ણ હવાઈ કળાઓ માટે પ્રખ્યાત છે. ટીમના પેરાશૂટર્સ આકાશમાંથી ઝડપભેર ઝંપલાવી અનોખા ફોર્મેશન, રંગીન સ્મોક ટ્રેઈલ્સ અને અત્યંત દિલધડક સ્ટન્ટ્સ રજૂ કરશે. આ કાર્યક્રમ દરમિયાન દર્શકોને દેશના વીર જવાનોની તૈયારી, શિસ્ત અને સાહસનો જીવંત અનુભવ થશે. ત્યારબાદ જમીન પર લેન્ડિંગ કરી ચૂકેલા પેરાટ્રૂપર્સને હેલિકોપ્ટરની મદદથી એર લિફ્ટ કરવામાં આવશે. નાગરિકોને કાર્યક્રમ નિહાળવામાં સરળતા રહે તે માટે રાજકોટ મહાપાલિકા દ્વારા અટલ સરોવર આસપાસના સ્માર્ટ સીટી વિસ્તારમાં વિશેષ વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું છે. સ્માર્ટ સીટી વિસ્તારમાં અલગ અલગ સ્થળોએ 17 થી 20 ભવ્ય અને મોટી સ્ક્રીનના માધ્યમથી બહોળી સંખ્યામાં લોકો ઊભા રહીને કે ભારતીય બેઠક કરીને સમગ્ર પરફોર્મન્સ નિહાળી શકશે. એરફોર્સના કમાન્ડો દ્વારા આપવામાં આવતા કમાન્ડને નિહાળવાની સાથે અવકાશમાં થતા ફાઇટર પ્લેનના પરફોર્મન્સ પણ સરળતાથી નિહાળી શકાશે. શહેરીજનો અટલ સરોવરની આસપાસના વિસ્તારમાં ઊભા રહીને અને ભારતીય બેઠક પર ભવ્ય એર-શો અને એર ફોર્સ બેન્ડનું લાઇવ પરફોર્મન્સ નિહાળી શકે તે માટે અટલ સરોવર ફરતે 30 થી વધુ સાઉન્ડ ટાવર સ્ટેન્ડ બાય કરવામાં આવશે. જેના માધ્યમથી અટલ સરોવર ફરતે રહેલા નાગરિકો ભવ્ય એર-શો અને લાઇવ બેન્ડ માણી આનંદ મેળવી શકશે. આ ઉપરાંત, તા. 06 અને 07 ડિસેમ્બર એમ, બે દિવસ સુધી અટલ સરોવરના પાર્કિંગ પ્લોટમાં બપોરના 12 વાગ્યા થી સાંજના 6 વાગ્યા સુધી એર ફોર્સ સ્ટેટિક ડિસ્પ્લેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એરફોર્સના સાધનો અને શસ્ત્રો નિહાળી શકાશે. આ બે દિવસ દરમિયાન લોકો ભારતીય વાયુસેનાના 'ગરુડ સ્પેશિયલ ફોર્સ' વિશે પણ માહિતી મેળવી શકશે, જેનું ગઠન 2004માં થયું હતું. ગરુડ કમાન્ડોની ટ્રેનિંગ અત્યંત પડકારજનક અને કઠિન હોય છે. આ ફોર્સ હાઇ રિસ્ક મિશન, કાઉન્ટર ટેરરિઝમ ઓપરેશન, રેસ્ક્યુ મિશન અને કુદરતી આપત્તિમાં રાહત તથા બચાવ કાર્યોમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. ગરુડ ફોર્સનું સૂત્ર પ્રહાર સે સુરક્ષા છે. આ કાર્યક્રમ માટે ખાસ અટલ સરોવરની આસપાસના વિસ્તારમાં કુલ 7 (A થી G) વ્યુ પોઈન્ટ અને 8 પાર્કિંગ પ્લોટ (પાર્કિંગ B, C અને D રિઝર્વ પાર્કિંગ તેમજ પાર્કિંગ A, E, F, G, H જનરલ પાર્કિંગ) નક્કી કરવામાં આવેલ છે. સ્માર્ટ સીટી એરિયામાં આવવા માટે મુખ્ય ચાર માર્ગો નક્કી કરવામાં આવ્યા છે. કાલાવડ રોડ તરફથી નવા રીંગ રોડ ઉપર, જામનગર રોડ પરથી નવા રીંગ રોડ ઉપર, રૈયા ચોકડી તરફથી સ્માર્ટ સીટી તરફ અને રામાપીર ચોક પરથી રૈયાધારવાળો રોડ. જાહેર સલામતી માટે લોકોને BRTSના રસ્તા ખાલી રાખવામાં આવ્યા છે.
વડોદરા શહેરના કાલાઘોડા પાસે આવેલી MS યુનિવર્સિટીની કોમર્સ મેઈન બિલ્ડીંગ ખાતે આજે NSUIના કાર્યકર્તાઓએ રાજ્યમાં ડ્રગ્સ અને દારૂના વેચાણ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં કાર્યકર્તાઓએ ભાજપ સામે સુત્રોચ્ચારો કર્યા હતા અને ડ્રગ્સના પ્રતીક તરીકે મીઠું ઊછાળીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સયાજીગંજ પોલીસે 10થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી છે. MS યુનિવર્સિટીની કોમર્સ મેઈન બિલ્ડીંગની આસપાસના NSUIના કાર્યકરોએ ભેગા થઈને પોસ્ટરો અને બેનરો સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો. તેઓએ ડ્રગ્સ અને દારૂના વેચાણને લઈને ભાજપ સરકાર પર આક્ષેપો કર્યા હતા, આ વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓએ 'હાય રે ભાજપ, હાય હાય' જેવા સુત્રોચ્ચારો કર્યા હતા અને તેઓએ ડ્રગ્સના પ્રતીક તરીકે મીઠું ઊછાળીને પ્રદર્શન કર્યું હતું, જેમાં તેઓ મીઠું હવામાં ફેંકીને તેના વેચાણ અને વપરાશ વિરુદ્ધ વિરોધ વ્યક્ત કર્યો હતો. કાર્યકરોએ વડોદરા સહિત રાજ્યભરમાં વધતા જતા ડ્રગ્સ અને દારૂના વેચાણને રોકવા માટે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી હતી. પરિસ્થિતિ તંગ બનતા જોતા સયાજીગંજ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પ્રદર્શનને વિખેરી નાખવાના પ્રયાસો કર્યા હતા અને 10થી વધુ કાર્યકર્તાઓને અટકાયતમાં લીધા હતા. NSUIના સ્થાનિક નેતાઓએ જણાવ્યું હતું કે, અમે માત્ર યુવાનોને બચાવવા માટે સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા છીએ. ભાજપ સરકારની નીતિઓને કારણે ડ્રગ્સનું વેચાણ વધી રહ્યું છે અને અમે તેના વિરુદ્ધ લડતા રહીશું.
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ ગામમાં સરકારી હાઈસ્કૂલમાં શિક્ષક દ્વારા 13 વર્ષની વિદ્યાર્થિની સાથે અડપલાની ગંભીર ઘટના સામે આવી છે. આરોપી શિક્ષકે બપોરે રિસેસના સમયે વિધાર્થીની સાથે અડપલા કર્યા હતા તેમજ અગાઉ રક્ષાબંધન પર્વના દિવસે પણ વિદ્યાર્થિની સાથે છેડતી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ મામલે જરોદ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપી શિક્ષકનું નામ પ્રગ્નેશકુમાર વિઠ્ઠલભાઈ પટેલ (હાલ રહે. હાલોલ) જરોદની સરકારી હાઇસ્કૂલમાં ગણિતના શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ફરિયાદી વિદ્યાર્થિના પિતાએ જણાવ્યું હતું કે, તા. 3 ડિસેમ્બર, 2025ના બપોરે 1:30થી 2 વાગ્યા દરમિયાન રિસેસના સમયે તેમની દીકરી પ્રિન્સિપાલ ઓફિસ પાસે લોબીમાં સહેલીઓ સાથે ઊભી હતી. તે વેળાએ આરોપી શિક્ષકે ખરાબ ઇરાદે તેના બરડાના ભાગે હાથ ફેરવીને છેડતી કરી હતી. તેની સાથે જ અગાઉ રક્ષાબંધનના એક દિવસ પહેલાં વિદ્યાર્થિની રાખડીઓ બનાવતી હતી, ત્યારે આરોપીએ તેના બંને હાથ પકડીને પણ અયોગ્ય વર્તન કર્યું હતું. આ બાબતે વિધાર્થીનીના પિતાએ પોતાના સગાઓ સાથે મળીને શાળાના આચાર્ય પાસે ફરિયાદ કરી હતી. આચાર્યએ સોમવારે શાળા સમિતિની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરીને પગલાં લેવાનું આશ્વાસન આપ્યું હતું. પરંતુ ફરિયાદીને શાળા વ્યવસ્થા કે સમિતિ પર વિશ્વાસ ન હોવાથી તેમણે સીધેસીધું જરોદ પોલીસ સ્ટેશને આવીને ફરિયાદ નોંધાવી છે. જરોદ પોલીસે આરોપી શિક્ષક પ્રગ્નેશકુમાર પટેલ સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 75(2) તેમજ પોક્સો એક્ટની કલમ 12 હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, માત્ર ત્રણેક દિવસમાં વડોદરા શહેર તેમજ જિલ્લામાં વિદ્યાર્થિનીઓ સાથે છેડતીની આ બીજી ઘટના છે, જેના કારણે શિક્ષણ જગતમાં ફરી એકવાર ચિંતાનું વાતાવરણ સર્જાયું છે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવ વચ્ચે જામનગરમાં AAP નેતા ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટનાને પ્રદેશ સંગઠન મંત્રી મનોજ સોરઠીયાએ ભાજપ અને કોંગ્રેસનું સંયુક્ત ષડયંત્ર ગણાવ્યું છે. તેમણે આ ઘટના પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને ગુજરાતમાં AAPને રોકવાના સતત પ્રયાસો થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. 'હુમલો હર્ષ સંઘવીની પોલીસ સાથે મળીને કરાયેલું આગોતરું આયોજન'મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, જામનગરમાં કોંગ્રેસના ત્રણ કોર્પોરેટર તાજેતરમાં AAPમાં જોડાતા કોંગ્રેસ માટે અહીં કોઈ ગ્રાઉન્ડ બચ્યું નથી. આ કારણે જામનગરમાં ભાજપ અને કોંગ્રેસના લોકોએ સાથે મળીને આ હુમલાનું કાવતરું રચ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે, આ હુમલો હર્ષ સંઘવીની પોલીસ સાથે મળીને કરાયેલું આગોતરું આયોજન હતું. હુમલાખોર પર જ પોલીસની નજર હતી. ઈશારો થતાની સાથે જ પોલીસ તાત્કાલિક હુમલાખોરની આસપાસ પહોંચી ગઈ હતી. પોલીસની ફરજ MLAની સુરક્ષાની હોય છે, પરંતુ અહીં ઊલટું જોવા મળ્યું. એક પણ પોલીસ કર્મચારીએ ગોપાલ ઇટાલિયાને કેટલું લાગ્યું તે પૂછ્યું નહીં. આ પણ વાંચો: જામનગરમાં કોંગી કાર્યકરે સ્ટેજ નજીક આવી ગોપાલ ઇટાલિયા પર જૂતાનો છુટ્ટો ઘા કર્યો હુમલાઓને AAP 'આભૂષણ સમજીને સ્વીકારશે': મનોજ સોરઠીયામનોજ સોરઠીયાએ દાવો કર્યો કે, ગુજરાતમાં AAP આગળ વધી રહી છે, જેના કારણે બંને પાર્ટીઓના 'પેટમાં તેલ રેડાયું' છે. તેમણે નર્મદા, ભરૂચ, ગોંડલ સહિત અનેક જગ્યાઓ પર AAPના કાર્યકર્તાઓ પર હુમલાઓ થતા હોવાનો ઉલ્લેખ કર્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આ ઘટનાને જનતા સામાન્ય ઘટના તરીકે ગણતી નથી અને AAP આ બાબતે સતત સંઘર્ષ કરશે. હુમલાઓને AAP 'આભૂષણ સમજીને સ્વીકારશે' તેમ તેમણે જણાવ્યું હતું. કેજરીવાલ ગુજરાતના પ્રવાસે, 2 દિવસ રાજકોટમાં રોકાશેઆ ઘટનાક્રમ વચ્ચે AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ આવતીકાલે સાંજે રાજકોટ એરપોર્ટ પર આવશે અને બે દિવસ રાજકોટમાં જ રોકાશે. આ પ્રવાસ દરમિયાન જામનગરની ઘટના બાબતે રણનીતિ તૈયાર કરવામાં આવશે, સાથે જ BLOની વેદના અને આપઘાત કરનાર ખેડૂત તેમજ હદદળમાં છૂટેલા ખેડૂતોના સન્માનનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે. ગોપાલ ઇટાલિયા પર ભ્રષ્ટાચારના આરોપનો ઇનકારસોરઠીયાએ સ્પષ્ટતા કરી કે, ગોપાલ ઇટાલિયા પર ભ્રષ્ટાચારનો એક પણ આરોપ નથી. જ્યારે તેમણે અગાઉ ગૃહમંત્રી પર જૂતું ફેંક્યું હતું, ત્યારે તેઓ ગુજરાતની સિસ્ટમ અને પરિસ્થિતિથી નારાજ હતા અને લોકોના હિતની વાત કરવાના હતા. AAP અને કોંગ્રેસના ગઠબંધન પરના સવાલ પર મનોજ સોરઠીયાએ સ્પષ્ટ કર્યું કે, રાષ્ટ્રીય રાજનીતિમાં 'ઇન્ડિયા' ગઠબંધન હેઠળ એક સમયે સાથે હતા, પણ હવે AAP ઇન્ડિયા અલાયન્સ સાથે નથી. તેમણે કહ્યું કે, આજે AAP કોંગ્રેસ કરતાં આગળ વધીને લોકોની પસંદગી બની છે, જેના કારણે કોંગ્રેસને પોતાના અસ્તિત્વનું જોખમ લાગી રહ્યું છે.
નાસ્તા ફરતાં આરોપીને જૂનાગઢ SOGએ વડોદરાથી દબોચ્યો:હથિયારના ગુનામાં છેલ્લા સાત વર્ષથી ફરાર હતો
જૂનાગઢ SOGએ ફરી એકવાર પોતાની સતર્કતા અને ટેકનિકલ કુશળતાનો પરિચય આપ્યો છે. જૂનાગઢ શહેર બી ડિવિઝનમાં હથિયારના ગંભીર ગુનામાં છેલ્લા સાત વર્ષથી કાયદાની પકડમાંથી નાસતા ફરતા આરોપીને વડોદરા ખાતેથી ઝડપી પાડ્યો છે. 7 વર્ષથી ફરાર આરોપી વડોદરાથી પકડાયોSOG પીઆઈ આર.કે. પરમાર દ્વારા આરોપીને શોધવા માટે ટીમ બનાવવામાં આવી હતી. આ દરમિયાન, SOGના એ.એસ.આઇ. રમેશભાઈ માલમ અને પો.કોન્સ. અરવિંદભાઈ વાવેચાને ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી ચોક્કસ બાતમી મળી હતી કે હથિયારના ગુનામાં સંડોવાયેલો જૂનાગઢનો દીપેશ ઉર્ફે દીપુ રસીકલાલ મોહનલાલ વાઘેલા વડોદરા ખાતે છુપાયેલો છે. આરોપીને બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપાયોઆ બાતમીના આધારે SOGની ટીમે વડોદરા ખાતે જઈને આરોપીને ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી માટે તેને જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સના આધારે આરોપીને શોધ્યોજૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાજડીયા અને એસપી સુબોધ ઓડેદરાના આદેશ થી SOGની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સનો સુચારુ ઉપયોગ કરીને વર્ષો જૂના કેસના આરોપીને શોધી કાઢ્યો. આ સફળ કામગીરી એ વાતનો પુરાવો છે કે પોલીસ તંત્ર ગુનાખોરીને જડમૂળમાંથી ઉખેડી ફેંકવા માટે સતત પ્રયત્નશીલ છે અને ગુનેગાર ભલે ગમે તેટલો સમય છુપાઈ રહે, કાયદાના હાથમાંથી બચી શકતો નથી. આ સમગ્ર સફળ કામગીરીમાં SOGના પીઆઈ આર.કે. પરમાર, એ.એસ.આઇ રમેશભાઈ માલમ, પો.હેડ કોન્સ. અનિરુદ્ધભાઈ વાંક અને પો.કોન્સ. અરવિંદભાઈ વાવેચા સહિતના સ્ટાફે યોગદાન આપ્યું હતું.
વર્ષ 2024ના એપ્રિલ મહિનામાં મૂળ બિહારના મોનુકુમાર તેલીએ બેદરકારી પૂર્વક ગાડી હંકારીને ખાટલામાં સૂતા 15 વર્ષીય સગીરને અથડાવતા સારવાર દરમિયાન સગીરનું મોત નીપજ્યું હતું, જ્યારે બાજુમાં સુતા 4 વર્ષના બાળકને ઈજા પહોંચી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીને 1 વર્ષની કેદ અને 6 હજારનો દંડ ફટકારવાનો હુકમ કર્યો છે. આ કેસમાં આરોપીનો વ્યક્તિની હત્યા કરવાનો ઈરાદો ન હોવાવથી સાઅપરાધ મનુષ્યવધનો ગુનો લગાડવામાં આવ્યો ન હતો. ગાડી ચડાવી દેતા ખાટલા અને ગાડી વચ્ચે સગીર ફસાયોવર્ષ 2024ના એપ્રિલ મહિનામાં I ડિવિઝન પોલીસ મથકે મૂળ બિહારના એક પિતાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમનો 15 વર્ષીય સગીર પુત્ર તેના 4 વર્ષીય ભાઈ સાથે સિંગરવા ખાતે ઘરની બહાર ખાટલામાં સૂતો હતો. ત્યારે આરોપી મૂળ બિહારના મોનુકુમાર તેલીએ બેદરકારી અને પૂરઝડપે મહિન્દ્રા XUV ગાડી ખાટલા સાથે અથડાવતા તેમનો દીકરો ખાટલા અને ગાડી વચ્ચે દબાઈ ગયો હતો. નાના 4 વર્ષીય દીકરાને પણ ઇજાઓ થઈ હતી. આંતરિક ઈજા અને શોકના કારણે સગીરને મૃત જાહેર કર્યોઆરોપીની ગાડીમાં જ દીકરાને સિંગરવા હોસ્પિટલ લઈ જવાયો હતો. જે હોસ્પિટલે મોટા 15 વર્ષીય દીકરાને આંતરિક ઇજાઓ અને શોકને કારણે મૃત જાહેર કર્યો હતો. આરોપી સામે અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ ચાલતા 9 સાહેદ અને 7 દસ્તાવેજી પુરાવા તેમજ સરકારી વકીલ એમ.એસ.શેખની દલીલોને આધારે આરોપીને કોર્ટે 1 વર્ષની કેદ અને કુલ 6 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આરોપી સામે 304A કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈઉલ્લેખનીય છે કે, આરોપી સામે 304A કલમ લાગી હતી. જે મુજબ કોઈનું મૃત્યુ બેદરકારી પૂર્વકના કાર્યને લઈને થાય. જેમાં વ્યક્તિનો હત્યાની નીપજાવવાનો ઇરાદો હોતો નથી. આ કલમ અંતર્ગત મહતમ 2 વર્ષની સજાની જોગવાઈ છે. જેમાં સાઅપરાધ મનુષ્યવધનો ગુનો લાગુ પડતો નથી કે જેમાં મહતમ 10 વર્ષની સજાની જોગવાઈ છે.
પાલનપુર તાલુકાના વિરપુર ગામે સચિન દિનેશકુમાર ઠાકોર ભારતીય લશ્કરમાં અગ્નિવીર તરીકે જોડાયા છે. ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ તેઓ પોતાના માદરે વતન વિરપુર પરત ફર્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરિવારજનો અને ગ્રામજનો દ્વારા ધનિયાણા ચોકડીથી વિરપુર ગામ સુધી ડી.જે.ના તાલે દેશભક્તિના ગીતો સાથે ભવ્ય બાઈક રેલી કાઢવામાં આવી હતી. ગામમાં પ્રવેશતા જ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. સચિન ઠાકોર વિરપુર ગામના ઠાકોર સમાજમાંથી ભારતીય સેનામાં જોડાનાર પ્રથમ યુવાન છે. તેમણે સૈન્યમાં જોડાઈને ગામ અને સમાજનું ગૌરવ વધાર્યું છે.
ભાવનગર ઝોન હેઠળની ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની નગરપાલિકાઓ દ્વારા શાળાઓમાં શ્વાન કરડવાથી બચવા માટેના જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જાહેર આરોગ્ય સુધારવા માટે નગરપાલિકાઓ અને શિક્ષણ વિભાગની આ સંયુક્ત પહેલ છે. આ કાર્યક્રમ ભાવનગર જિલ્લાની 6, અમરેલીની 10, ગીર સોમનાથની 5 અને જૂનાગઢ જિલ્લાની 7 નગરપાલિકાઓના હદ વિસ્તારમાં આવેલી તમામ સરકારી, અર્ધસરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ માટે હતો. કુલ 28 નગરપાલિકાઓ દ્વારા 'એનિમલ બર્થ કંટ્રોલ (ડોગ) રૂલ્સ, 2023'ના અસરકારક અમલ અને સર્વોચ્ચ અદાલત તથા ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગની સૂચનાઓ અનુસાર આ પહેલ કરાઈ છે. આ નિર્દેશોના પાલનરૂપે, ભાવનગર ઝોનની કુલ 72 શાળાઓમાં વ્યાપક જાગૃતિ અભિયાન યોજાયું હતું, જેમાં 8117 વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા. શાળાના આચાર્ય, શિક્ષકો અને નગરપાલિકાના સેનિટેશન શાખાના સેનેટરી ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમે આ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. વિદ્યાર્થીઓને શ્વાન કરડવાથી બચવા માટેની કાળજી, કરડ્યા પછી શું કરવું અને શું ન કરવું તેની ઊંડી સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં જણાવાયું હતું કે શ્વાન કરડે કે નહોર વાગે ત્યારે તે ભાગને વહેતા પાણીમાં સાબુથી સતત સાફ કરવાથી વાયરસની અસર ઓછી થાય છે. વિદ્યાર્થીઓને કોઈ પણ ગામઠી ઉપચાર કર્યા વિના તાત્કાલિક ડોક્ટર પાસે પહોંચીને સારવાર લેવા અને જરૂરી રસીકરણ કરાવવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. ભાવનગર ઝોનની નગરપાલિકાઓ દ્વારા હાથ ધરવામાં આવેલું આ જાગૃતિ અભિયાન માનવ અને પ્રાણી વચ્ચેના સંઘર્ષને ઘટાડવા તેમજ જાહેર આરોગ્યને મજબૂત કરવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે. ભારતીય જીવજંતુ કલ્યાણ બોર્ડ (એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડીયા) ભારત સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલય હેઠળ કાર્યરત એક રાષ્ટ્રીય સંસ્થા છે, જે 1962માં પ્રિવેન્શન ઑફ ક્રૂએલ્ટી ટુ ઍનિમલ્સ ઍક્ટની જોગવાઈઓથી સ્થાપિત થઈ હતી. બોર્ડ દેશભરમાં પ્રાણીઓના કલ્યાણ માટે નીતિઓ, માર્ગદર્શિકાઓ અને જાગૃતિ અભિયાન તૈયાર કરે છે, તેમજ પ્રાણી આશ્રયગૃહો, એનજીઓ અને રેસ્ક્યુ સેન્ટરોને સહાય આપે છે. ફિલ્મોમાં પ્રાણીઓના ઉપયોગ માટે “નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ” આપવાનું પણ આ બોર્ડનું મહત્વપૂર્ણ કાર્ય છે. પ્રાણીઓ પર અત્યાચાર ઘટાડવા, માનવતા આધારિત વ્યવહાર સ્થાપિત કરવા અને પ્રાણી સંરક્ષણ સંબંધિત કાનૂની અમલવારીમાં સહકાર આપવાનો બોર્ડનો મુખ્ય ધ્યેય છે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પર આપની જીત બાદ સૌરાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કેજરીવાલ વધુ એકવાર સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે. કેજરીવાલ 7 ડિસેમ્બરથી ત્રણ દિવસ રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે સાંજે 7.15 ની ફ્લાઈટમાં તેઓ દિલ્હીથી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચશે. શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલી ફોર્ચ્યુંન હોટલમાં તેમનું રોકાણ છે. 9 ડિસેમ્બર સુધી તેમનું રોકાણ છે ત્યારે ત્રણ દિવસ દરમિયાન તેઓ ખેડૂતો અને અગાઉ બોટાદમાં થયેલી સભામાં જેઓની ધરપકડ કરવામાં આવેલી છે તેઓને જેલમાં મળશે. રાજકોટ જેલમાં અંદાજે 30 જેટલા કેદીઓ છે જેમની તે વખતેની સભા બાદ ધરપકડ થઈ હતી. જોકે તેમનો ફાઈનલ મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ હવે જાહેર થશે. 31મી ઓક્ટોબરે સુરેન્દ્રનગરના સુદામડામાં ખેડૂત મહાપંચાયતમાં હાજરી આપી હતી12 ઓક્ટોબરના દિવસે બોટાદના હડદડ ગામમાં કડદા પ્રથા બંધ કરવા માટે ખેડૂતોને મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂતોની મહાપંચાયત દરમિયાન અચાનક પથ્થરો થવા લાગ્યો હતો જેમાં પોલીસે અને ખેડુતો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં અનેક પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત પણ થયા હતા. જેમાં આમ આદમી પાર્ટીના બે નેતાઓ સામે ફરિયાદ નોંધી ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ ખેડૂતોને ન્યાય અપાવવા માટે આમ આદમી પાર્ટીએ સરકાર સામે બાયો ચડાવી દીધી છે. ગુજરાતમાં ખેડૂતો પર શોષણ થતું હોવાના આરોપ સાથે તેમને ન્યાય અપાવવા માટે સુરેન્દ્રનગરના સુદામડામાં 31મી ઓ્કટોબરે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અરવિંદ કેજરીવાલે હાજરી આપી હતી. આ સમાચાર પણ વાંચોઃ જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું:કોંગી કાર્યકરે સ્ટેજ નજીક આવી છુટ્ટો ઘા કરતાં મામલો બિચક્યો જામનગરમાં આજે આમ આદમી પાર્ટીની જન સભામાં કોંગ્રેસના કાર્યકરે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતા હોબાળો થયો હતો. જે બાદ આદમી પાર્ટીના કાર્યકરોએ કોંગી કાર્યકરને માર મારતા મામલો બિચક્યો હતો. મહત્વનું છે કે, ગોપાલ ઇટાલિયાએ વર્ષ 2017માં તત્કાલીન ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પર જૂતાનો ઘા કર્યો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચો)
ઈન્ડિગોએ છેલ્લા 4 દિવસથી દેશ માથે લીધો છે. હજારો ફ્લાઇટ કેન્સલ થવાથી લાખો મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કંપની પેસેન્જર સુધી ના તો યોગ્ય મેસેજ પહોંચાડી શકે છે ના તો એરપોર્ટ પર યોગ્ય જવાબ. બુમ પાડતા પેસેન્જર, પીડા વ્યક્ત કરતા પેસેન્જર, રડતા-કંટાળતા અને નિરાશ પેસેન્જરોથી ભીડથી એરપોર્ટ પર અરાજકતા ફેલાઈ છે. પાયલટસ અને ક્રૂ મેમ્બર્સની અછતથી ઈન્ડિગો ઈમરજન્સીની સ્થિતિ સર્જાઈ છે. ભાસ્કર રિપોટર જ્યારે પેસેન્જરોની પીડા જાણવા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા ત્યારે પેસેન્જરોએ ભારે હૈયે પોતાની પીડા વ્યક્ત કરી. મુસાફરો સાથે હોબાળો કરતી રુચીની જ્યારે પીડા જાણી ત્યારે તેના અને તેના પરિવારના ચહેરા પર ફ્લાઇટ કેન્સલ થવાની ચિંતા સાથે જોબ ગુમાવવાનો ડર દેખાતો હતો. તો મહર્ષિએ ફ્લાઈટ કેન્સલ થવાથી સૌથી મોટી ઓપર્ચ્યુનિટી ગુમાવવી પડી છે. તો દેશસેવા માટે બોર્ડર પર જવા માંગતા 4 ફૌજીને છેલ્લા 3 દિવસથી ધક્કા ખાતા જોઈ અમારું પણ મન બેચેન હતું. તો આવો જાણીએ કે ઝડપી પહોંચવા જેની પર ભરોસો કર્યો તે જ ઈન્ડિગો આ પેસેન્જર માટે કેવી રીતે આફત બની આવ્યું. દુબઈમાં 9 તારીખે જોઈનિંગ માટે 7 તારીખ પહેલાં પહોંચવું જરૂરીરુચિએ સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય કે જોબના ખુશીના સમાચાર વચ્ચે કોઈ વિઘ્ન આવશે. રુચિને દુબઈમાં જઈને 9 તારીખે જોઇનિંગ કરવાનું હતું. જે માટે 7 તારીખ પહેલા દુબઇ પહોંચવું રુચિ માટે ખૂબ જરૂરી હતું. જેથી રુચિના પરિવારેે બનતી રકમ ભેગી કરીને ફ્લાઇટની ટિકિટ બુક કરાવી હતી. વહેલી સવારે ચાર વાગ્યાની ફ્લાઇટ અમદાવાદથી મુંબઈની હતી અને તે બાદ મુંબઈથી દુબઇ જવાનું હતું 9 તારીખે જોઈનિંગ નહીં થાય તો જોબ ગુમાવવી પડશેરુચિ જ્યારે એરપોર્ટ પર પહોંચે છે ત્યારે તેને એવું કહેવામાં આવે છે કે અમદાવાદથી મુંબઈ જતી ફ્લાઈટ કેન્સલ કરી દેવામાં આવે છે. તેમજ અન્ય કોઈ ફ્લાઇટ થઈ શકે તેમ નથી. મુંબઈ સમયસર ન પહોંચી શકતા રુચિને દુબઇ માટેની પણ ફ્લાઈટ ગુમાવવી પડશે. જેથી 9 તારીખે જો રુચિ દુબઈમાં જોઈનિંગ નહીં કરે તો તેને જે મહેનત કરીને જોબ મેળવી છે તે ગુમાવવી પડશે. અત્યારે ફ્લાઇટ કેન્સલ થવાથી અમે મુંબઈ પણ પહોંચી શકતા નથીરુચિબેને જણાવ્યું હતું કે, અમારે દુબઇ જવાનું હતું. અમદાવાદથી ચાર વાગ્યાની મુંબઈ થઈને દુબઈની કનેક્ટિંગ ફ્લાઈટ હતી. જે ફ્લાઇટ હવે કેન્સલ થઈ ગઈ છે જેથી હવે મુંબઈ જઈ શકતા નથી. પહેલા મેસેજ આવ્યો હતો કે બંને ફ્લાઇટ કેન્સલ છે, પછી સવારે મેસેજ આવ્યો કે મુંબઈથી દુબઈની ફ્લાઇટ એક કલાક મોડી છે. તો હવે અત્યારે ફ્લાઇટ કેન્સલ થવાથી અમે મુંબઈ પણ પહોંચી શકતા નથી. હવે એવું કહે છે કે અહીંયાથી મુંબઈ જવાની બીજી કોઈ ફ્લાઇટ નથી. એક વર્ષનો કોર્સ અને એક વર્ષ ટ્રેનિંગ પૂરી કરીને જોબ મળી હતીજોબની ચિંતા કરતા રુચિબેન જણાવે છે કે, દુબઇ મારે જોબ માટે જવાનું હતું. જોઈનિંગ 9 તારીખે હતું પરંતુ મોડામાં મોડું 7 તારીખ સુધી દુબઇ પહોચવાનું હતું. પરંતુ હવે અત્યારે કોઈ ફ્લાઇટ મળી રહી નથી. હવે જો સમયસર નહીં પહોંચીએ તો જોબ જતી રહેશે. એક વર્ષનો કોર્સ પૂરો કરી અને એક વર્ષ ટ્રેનિંગ પૂરી કરીને જોબ મળી હતી. જોબ મેળવવા માટે ઘણી બધી મહેનત કરવી પડી હતી, પરંતુ ફ્લાઇટ કેન્સલ થવાથી હવે સમયસર નહીં પહોંચી શકીએ તો જોબ ગુમાવવી પડશે. મહર્ષિ જાનીને સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2025 માટે શિલોંગ પહોંચવાનું હતુંરુચિના જેમ મહર્ષિ જાની નામનો વિદ્યાર્થી પણ ફ્લાઈટ કેન્સલ થવાથી અમદાવાદ એરપોર્ટ પર હેરાન પરેશાન થઈ ગયો છે. સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2025 કે જે મેઘાલયના શિલોંગમાં થવાની હતી તેમાં તેનું સિલેકશન થયું હતું. જે માટે મહર્ષિ જાનીને 8 તારીખ પહેલા પહોચવાનું હતું. અનેક પ્રોબ્લેમ સોલ્વ કરીને મહર્ષિ પોતાની જગ્યા સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2025 માટે બનાવી હતી. વહેલી સવારે મહર્ષિ જ્યારે એરપોર્ટ પર પહોંચે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે તમારી ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ છે. સૌથી મોટી ઓપર્ચ્યુનિટી ફ્લાઈટ કેન્સલ થવાથી ગુમાવીફ્લાઇટ કેન્સલ થતા જ મહર્ષિ જાની ચિંતામાં મુકાઈ જાય છે. ઈન્ડિગો તરફથી એવું કહેવામાં આવ્યું કે તમને હવે 8 તારીખે ફ્લાઇટ મળી શકે છે. પરંતુ મહર્ષિ જાનીને 8 તારીખ પહેલા પહોચવાનું હતું. કારણ કે 8 અને 9 તારીખે 36 કલાક સુધી તેને હેકાથોનમાં ભાગ લેવાનો હતો. ત્રણ-ત્રણ વર્ષ મહેનત કરવા છતાં સિલેકશન થતું નથી, પરંતુ મહર્ષિ જાનીનું પહેલા વર્ષે જ સિલેક્શન થઈ ગયું હતું, પરંતુ ફ્લાઈટ કેન્સલ થવાથી હવે તે સમયસર હેકાથોનમાં ભાગ લેવા પહોંચી શકે તેમ જ નથી. મહર્ષિને મળેલી સૌથી મોટી ઓપર્ચ્યુનિટી ફ્લાઈટ કેન્સલ થવાથી ગુમાવવી પડી છે. 1400 ટીમ સિલેક્ટ થઈ તેમાંથી એક અમારી પણ હતીહેકાથોન માટે જનાર વિદ્યાર્થી મહર્ષિ જાનીએ જણાવ્યું હતું કે, અમારે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2025માં ભાગ લેવા માટે મેઘાલય શિલોંગ જવાનું હતું. અમારી ટીમની પસંદગી થઈ હતી. જ્યાં જઈને 36 કલાક સુધી એટલે કે 8 અને 9 તારીખે હેકાથોનમાં ભાગ લેવાનો હતો. 74 હજાર જેટલી ટીમ પોતાના આઇડિયા સબમિટ કરતી હોય છે. જેમાંથી મિનિસ્ટ્રી પોતાની પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ આપી હોય તે શોર્ટ લિસ્ટ કરીને 5- 5 ટીમને સિલેક્ટ કરતી હોય છે. કુલ 1400 ટીમ સિલેક્ટ થઈ તેમાંથી એક અમારી પણ હતી. ત્રણ-ત્રણ વર્ષ સુધી ભાગ લે છતાં સિલેક્શન થતું નથીવધુમાં જણાવ્યું હતું કે, આ સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન લાઇફ ટાઈમ ઓપર્ચ્યુનિટી કહેવામાં આવે છે. વિદ્યાર્થીઓના ગ્રોથ માટે ઘણી સારી ઓપર્ચ્યુનિટી ગણવામાં આવે છે. લોકો ત્રણ-ત્રણ વર્ષ સુધી ભાગ લે છે છતાં પણ તેમનું સિલેક્શન થતું નથી. પરંતુ અમારું પહેલા વર્ષે જ સિલેકશન થઈ ગયું હતું. અહીંયા એરપોર્ટ ઓથોરિટી દ્વારા કોઈપણ પ્રકારનો જવાબ આપવામાં આવતો નથી. અમે રિક્વેસ્ટ કરી હતી કે અમારી માટે જવું ખૂબ જ જરૂરી છે તમે કનેક્ટિંગ ફ્લાઈટ સેટ કરી આપો. ગુજરાતમાંથી 6 મેમ્બર- 2 મેન્ટર્સ જવાના હતા જે હવે ફ્લાઇટ કેન્સલ થવાથી નહીં જઈ શકે7 તારીખ સુધીમાં અમારે ત્યાં પહોંચવું ખૂબ જ જરૂરી હતું. પરંતુ અમને એવું કહેવામાં આવ્યું છે કે 7 તારીખ સુધી કોઈ પણ ફ્લાઈટ મળી શકે તેમ નથી. 8 તારીખે અમને બુકિંગ આપવામાં આવે છે. પરંતુ 8 તારીખે અમારી કોમ્પિટિશન શરૂ થઈ જશે તો પછી તે શું કામનું. ગુજરાતમાંથી 6 મેમ્બર અને બે મેન્ટર્સ જવાના હતા જે હવે ફ્લાઇટ કેન્સલ થવાના કારણે જઈ શકવાના નથી. 4 ફૌજી પણ છેલ્લા 3 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છેઆ સાથે 4 ફૌજી પણ અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા ત્રણ દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે. રજા માટે આવેલા ફૌજીઓને પોતાની રજા પૂરી કરીને પરત આસામ હાજર થવાનું હતું. સમયસર પહોંચી શકે તે માટે પૈસા ભેગા કરીને ફ્લાઇટની ટિકિટ બુક કરાવી હતી. 3 દિવસથી રોજ ફ્લાઇટ કેન્સલ થાય છે4 ફૌજી જ્યારે 4 તારીખે અમદાવાદ એરપોર્ટ પર પહોંચે છે ત્યારે કહેવામાં આવે છે કે તમારી ફ્લાઈટ કેન્સલ થઈ ગઈ છે. જે બાદ બીજા દિવસની ફલાઇટની ટિકિટ બુક કરવામાં આવે છે તે પણ કેન્સલ થઈ જાય છે. હવે આજની ફ્લાઇટ પણ કેન્સલ થઈ ગઈ હોવાનું ફૌજીને કહેવામાં આવે છે. અમદાવાદ એરપોર્ટ પર હેરાન પરેશાન થઈ રહેલા ફૌજી માગ કરી રહ્યા છે કે વહેલી તકે યોગ્ય વ્યસ્થા કરીને સમયસર પહોંચાડવામાં આવે. રજા પૂરી કરીને હાજર થવાનું હતુંઆસામમાં સેનામાં ફરજ બજાવતા ગણપતભાઈએ જણાવ્યું હતું કે, અમારે આસામ જવાનું હતું, રજા પૂરી કરીને અમે પરત જઈ રહ્યા હતા. 4 તારીખની અમારી ફ્લાઇટની ટિકિટ હતી, જે કેન્સલ થઈ ગઈ હતી. જે પછી 5 અને પછી 6 તારીખની પણ ફ્લાઈટ કેન્સલ થઈ છે એવું કહેવામાં આવ્યું છે. મેસેજ કરી દેવામાં આવે છે પરંતુ તેનો કોઈ નિકાલ નથી. એકાઉન્ટમાં એટલા પૈસા નથી કે બીજી ટિકિટ લઈ શકીએવધુમાં તેમણે જણાવ્યું કે બીજી કોઈ ફ્લાઈટમાં શિફ્ટ કરવાની વ્યવસ્થા કરવી જોઈએ. છેલ્લા 3 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છીએ. તો બીજી તરફ ત્રણ ચાર ગણું ભાડું પણ વધારી દેવામાં આવ્યું છે. એકાઉન્ટમાં એેટલા પૈસા પણ નથી તે બીજી કોઈ ટિકિટ કરી શકીએ. અમે ફૌજી લોકો આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ. સમયસર નહીં પહોંચીએ તો બીજી મુશ્કેલી ઊભી થશેવધુમાં ગણપતભાઈએ જણાવ્યું હતું કે, જો સમયસર નહીં પહોંચી શકીએ તો બીજી મુશ્કેલી ઊભી થઈ જવાની છે. ફૌજી લોકો તો સમયસર પહોંચી જાય એવી વ્યવસ્થા કરી આપવી જોઈએ. 6 કલાકનો રસ્તો કાપીને અહીંયા આવીએ છીએ અને એરપોર્ટ પર આવીને આવી સમસ્યા ઊભી થાય તો અમારે ક્યાં જવું. બીજી રહેવાની પણ કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરી આપવામાં આવી નથી. સગા સંબંધીઓના ઘરે અત્યારે રોકાવું પડી રહ્યું છે. આ પ્રકારની સમસ્યાનો તાત્કાલિક સમાધાન કરવું જરૂરી છે.
ભરૂચમાં 4 કરોડની પાણીની ટાંકીનું લોકાર્પણ:નલ સે જલ યોજના હેઠળ સ્થાનિકોને શુદ્ધ પાણી મળશે
ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના – જનભાગીદારી યોજના (નલ સે જલ) અંતર્ગત રૂ. 4 કરોડના ખર્ચે નિર્મિત 'જે.બી. મોદી પાર્ક તથા ડુંગરીણી ઊંચી ટાંકી'નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ટાંકીનો મુખ્ય ઉદ્દેશ્ય નગરના પાણી પુરવઠા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાનો છે, જેનાથી સ્થાનિક વિસ્તારમાં પાણી સપ્લાય સિસ્ટમમાં સુધારો થશે. આ ટાંકીનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે રિબન કાપીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ, મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, સેનેટરી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, વિપક્ષ નેતા સમસાદઅલી સૈયદ સહિત અનેક આગેવાનો, અધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ નવી ટાંકી કાર્યરત થવાથી સ્થાનિકોની લાંબા સમયથી ચાલી આવતી પાણીની સમસ્યા હળવી થશે. આસપાસના રહેવાસીઓને સમયસર અને પૂરતા પ્રમાણમાં શુદ્ધ પાણી મળવાનું શરૂ થશે, જેનાથી પાણી પુરવઠાની અડચણો દૂર થશે. સ્થાનિક લોકોએ આ વિકાસ કાર્યનું સ્વાગત કર્યું છે. આ યોજના ભરૂચ શહેરના પાણી પુરવઠા નેટવર્કમાં ગુણવત્તાસભર સુધારો લાવશે. આગામી સમયમાં નગરપાલિકાના અન્ય જળવ્યવસ્થા પ્રોજેક્ટોને પણ આનાથી વેગ મળશે તેવી શક્યતા છે.
વલસાડમાં 79મો હોમગાર્ડ સ્થાપના દિવસ ઉજવાયો:શહેરમાં રેલીનું આયોજન કરાયું, સેવાઓની માહિતી અપાઈ
વલસાડ જિલ્લામાં હોમગાર્ડનો 79મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો. આ કાર્યક્રમની શરૂઆત વલસાડ હોમગાર્ડ કચેરી ખાતે મહિલા ઓફિસર નિધિબેન જી. કવૈયાના હસ્તે ધ્વજવંદન કરીને કરવામાં આવી હતી. ધ્વજવંદન બાદ એક રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ રેલી વલસાડ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં પુરુષ અને મહિલા હોમગાર્ડ જવાનો જોડાયા હતા. રેલી દરમિયાન, હોમગાર્ડ સ્ટાફ દ્વારા શહેરના નાગરિકોને હોમગાર્ડ વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. જિલ્લા હોમગાર્ડ સ્ટાફ ઓફિસર અને અન્ય અધિકારીઓએ જવાનોને સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી હતી. આ ઉજવણીમાં અધિકારીઓ અને જવાનોમાં દેશસેવા પ્રત્યે નવી ઉર્જા અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
પાટણ જિલ્લામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પાટણે સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારની ધારેવાડા ચેકપોસ્ટ નજીકથી ₹77.11 લાખથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જિલ્લાના ઇતિહાસમાં આ પ્રથમ વખતની સૌથી મોટી કાર્યવાહી છે, જેમાં કુલ ₹1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. LCB પાટણની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પંજાબ રાજ્યમાં ઉત્પાદિત વિદેશી દારૂની કુલ 16,427 બોટલો RJ-27-GB-9889 નંબરના કન્ટેનર ટ્રકમાંથી મળી આવી હતી. દારૂના આ મોટા જથ્થાને ટ્રકમાં બેસનના 684 કટ્ટા (જેમાં ભૂસું ભરેલું હતું) ની આડમાં ખોટા બિલ બનાવીને હેરાફેરી કરવામાં આવી રહી હતી. આ ઓપરેશનમાં દારૂ, કન્ટેનર ટ્રક, બેસનના કટ્ટા, એક મોબાઈલ ફોન (₹5,000/-), રોકડ ₹2,150/- અને બેસનના કટ્ટાઓના ઇન્વોઇસ બિલ સહિત કુલ ₹1,02,38,438/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ગુનામાં કાલુખાન સુગનેખાન ચોથાખાન જાતે મીર (મુસ્લિમ), રહે. ફતેગઢ, મુસલમાનની વસ્તી, તા. ફતેગઢ, જિ. જેસલમેર (રાજસ્થાન) નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા ડ્રાઈવર આરોપીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે દારૂનો આ જથ્થો પંજાબથી ભરીને સુરત પહોંચાડવાનો હતો. આ કેસમાં પ્રકાશપુરી સ્વામી (મહારાજ), રાજુરામ બિશ્નોઇ (રહે. બાડમેર), કન્ટેનર ટ્રક નંબર RJ-27-GB-9889 નો માલિક હેમારામ મગનારામ પુનીયો અને સુરત ખાતે માલ મંગાવનાર અજાણ્યો ઇસમ સહિતના અન્ય આરોપીઓ હજુ ફરાર છે. આ મામલે સિદ્ધપુર પોલીસ સ્ટેશન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અમરેલી શહેરમાં મોડી રાત્રે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં યુવતીને ભગાડી જવાના મુદ્દે થયેલા હુમલામાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. આ મામલે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રહેવાસી રાજુભાઈ કૈલાશભાઈ ભાભરે આરોપી સંતોષ ભાયદીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, એક યુવકે તેની બાજુમાં રહેતા વ્યક્તિની પુત્રીને ભગાડી હતી. આ બાબતે પાડોશીનો સાળો સંતોષ ભાયદીયા ઝૂંપડા પાસે ઝઘડો કરવા આવ્યો હતો. ફરિયાદી રાજુભાઈ અને તેમના ભાઈ ટીકુ કૈલાશભાઈ ભાભર ત્યાં પહોંચ્યા હતા. આરોપી સંતોષે તેમને ગાળો ભાંડી હતી, જેનો વિરોધ કરતા સંતોષે ઉશ્કેરાઈને બંને પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ટીકુ ભાભરને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ઘાયલ ટીકુ ભાભરને તાત્કાલિક અમરેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે ઈજાગ્રસ્તોની પૂછપરછ કરી મોડી રાત્રે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપી સંતોષ ભાયદીયાની ધરપકડ માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધૂળેટીના દિવસે પેપર રાખવામાં આવ્યા બાદ ભૂલ સુધારી રિવાઇઝ્ડ ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું. જોકે તેમાં ધોરણ 12 સાયન્સના બી ગ્રુપના વિદ્યાર્થીઓની પરીક્ષા 13ને બદલે 16 માર્ચે પૂર્ણ થઈ રહી છે અને આ વખતે મેડિકલના વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં એડમિશન માટેની NEETની પરીક્ષા 4ને બદલે 3મે ના લેવાઈ રહી છે. NEET એક્ઝામ વહેલી લેવાતા વિદ્યાર્થીઓને તૈયારીના 7 દિવસ ઘટ્યાગત વર્ષે બોર્ડની પરીક્ષા 10 માર્ચે જ પૂર્ણ થઈ ગઈ હતી. જેથી ગત વર્ષની તુલનામાં આ વખતે NEETની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને રીવિઝન માટેનો 7 દિવસનો ઓછો સમય મળશે. NEETની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને 80 ચેપ્ટર ભણવાના આવતા હોય છે. જેમાં તેઓ દરરોજના એવરેજ 5 ચેપ્ટર રીડિંગ કરતા હોય છે એટલે સાત દિવસના 35 ચેપ્ટરનું રિમિશન લઈ થઈ શકે. જેથી વાલીઓ માંગ કરી રહ્યા છે કે મેડિકલના વિદ્યાર્થીઓને તેના જીવનની સૌથી મોટી અને મહત્વની ગણાતી આ પરીક્ષામાં રીડિંગ માટેનો વધુ સમય મળે તે માટે બોર્ડની પરીક્ષાના સમય પત્રકમાં ફેરફાર કરવામાં આવે. બાયોલોજીનું પેપર 4 માર્ચના બદલે 16 માર્ચે રહેશેરાજકોટના વાલી મેઘાબેને જણાવ્યું હતું કે, મારો પુત્ર ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટેની પરીક્ષાનું રીવાઈઝડ ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે, જે મુજબ પહેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનું બાયોલોજીનું પેપર 4 માર્ચના લેવાનું નક્કી કરાયું હતું. તે રિ-શેડયુલ કરી 16 માર્ચના લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. 3મે ના NEETની પરીક્ષા, વિદ્યાર્થીઓને રિવિઝનનો સમય ઘટ્યોજેને લીધે દર વર્ષે બોર્ડની પરીક્ષા 10 કે 11 માર્ચે પૂરી થઈ જતી હોય છે તે આ વર્ષે 16મી માર્ચે પૂર્ણ થશે. આ સાથે જ NEETની પરીક્ષા કે જેના આધારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મેડિકલમાં ઉચ્ચ અભ્યાસ માટે એડમિશન મળતું હોય છે તે એક્ઝામ પણ 4ને બદલે 3મે ના રોજ લેવાશે. જે થોડી વહેલી છે અને તેને કારણે વિદ્યાર્થીઓને રિવિઝનનો સમય ઘટી ગયો છે. 12 સાયન્સ પરીક્ષાની તારીખોમાં થોડો ફેરફાર કરવા વાલીની માગતેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણે સૌ જાણીએ છીએ કે નીટની પરીક્ષામાં એક માર્ક ઓછો હોય તો પણ હજારો રેન્કનો ફર્ક પડી જાય છે અને તેથી વિદ્યાર્થીઓને સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશમાં મુશ્કેલી પડે છે. જેથી ગુજરાત બોર્ડ અને સરકારને વિનંતી છે કે વિદ્યાર્થીઓને રીડિંગનો વધુ સમય મળે તે માટે ધોરણ 12 સાયન્સની પરીક્ષાની તારીખોમાં થોડો ફેરફાર કરવામાં આવે. 'નીટની પરીક્ષાની તૈયારી માટે 7 દિવસનો ઘટાડો'જ્યારે અન્ય વાલી કિલોલભાઈએ જણાવ્યું હતું કે, મારી દીકરી ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરે છે. અમને ન્યુઝના માધ્યમથી ખબર પડી છે કે પહેલા ધોરણ 12 સાયન્સ બી ગ્રૂપનું પેપર 4 માર્ચના ધુળેટીના દિવસે હતું તે હવે બદલીને 16 માર્ચે રાખવામાં આવ્યું છે. ગત વર્ષે બોર્ડની પરીક્ષા 10મી માર્ચ પૂરી થઈ ગઈ હતી અને નીટની પરીક્ષા પણ 4મેના રોજ હતી. જેથી ગત વર્ષે ધો.12 સાયન્સના બી ગ્રુપના વિદ્યાર્થીઓને નીટની પરીક્ષાની તૈયારી માટે 7 દિવસનો ઘટાડો થાય છે. જેથી શિક્ષણ બોર્ડ દ્વારા આ પરીક્ષા વહેલી પૂર્ણ કરવામાં આવે. જેથી વિદ્યાર્થીઓને NEET ની પરીક્ષાની તૈયારી માટે પૂરતો સમય મળે.
રાજ્યમાં ગત 9 નવેમ્બરથી સરકારી ટેકાના ભાવે સોયાબીનની ખરીદી શરૂ થઈ છે, પરંતુ ખુલ્લા બજારમાં ઊંચા ભાવ મળતા હોવાથી ખેડૂતો સરકારી કેન્દ્રો તરફ વળવાને બદલે માર્કેટિંગ યાર્ડમાં પોતાનો માલ વેચી રહ્યા છે. વધુ ઉત્પાદન હોવા છતાં ખેડૂતોને સીધો આર્થિક લાભ બજારમાં મળી રહ્યો છે, જેના કારણે સરકારી ખરીદી યોજના નિષ્ફળ જતી દેખાઈ રહી છે. વડિયા ગામના ખેડૂત જયંતીભાઈ હીરપરાએ જણાવ્યું કે આ વર્ષે સારા વરસાદને કારણે સોયાબીનનું ઉત્પાદન ખૂબ વધ્યું છે.જોકે સરકારી ટેકાના ભાવ કરતાં માર્કેટિંગ યાર્ડમાં સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો યાર્ડમાં વેપારીઓને માલ વેચી રહ્યા છે. જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી અને રાજકોટ સહિત અન્ય જિલ્લાના ખેડૂતો અહીં સોયાબીન વેચવા આવી રહ્યા છે. માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનનો પ્રવાહ અને ભાવ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની આવક પૂરજોશમાં છે. માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરાના જણાવ્યુ હતુ કે છેલ્લા 20 દિવસમાં યાર્ડમાં એક લાખ કરતાં વધુ કટ્ટાની આવક નોંધાઈ છે અને દૈનિક આવક પાંચથી છ હજાર કટ્ટાની રહે છે.આવક વધવા છતાં ભાવમાં વધારો જોવા મળ્યો છે. ગુણવત્તા પ્રમાણે સોયાબીનનો ભાવ પ્રતિ 20 કિલોએ રૂ. 850 થી રૂ. 1000 નોંધાયો છે. સૌથી વધુ આકર્ષણ પ્રીમિયમ ક્વોલિટી અને સીડ ક્વોલિટીના સોયાબીન તરફ છે, જેનો ભાવ ખેડૂતોને રૂ. 1000 થી રૂ. 1250 સુધી ઉપજી રહ્યો છે. ભાવમાં સતત વધારો થતાં ખેડૂતો યાર્ડ તરફ ખેંચાઈ રહ્યા છે. ધોરાજી, ઉપલેટા, જામજોધપુર અને ભાવનગર વિસ્તારના ખેડૂતો પણ અહીં વેચાણ માટે આવી રહ્યા છે. ટેકાના ભાવે ખરીદીની નિષ્ફળતા ટેકાના ભાવે સોયાબીન વેચવા માટે 20,300 ખેડૂતોએ નોંધણી કરાવી હતી. જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટે જણાવ્યું કે અત્યાર સુધીમાં 3000 થી વધુ ખેડૂતોને એસ.એમ.એસ. દ્વારા જાણ કરવામાં આવી છે, પરંતુ બજારમાં સારા ભાવ મળવાના કારણે ફક્ત 1200 જેટલા ખેડૂતો જ સોયાબીન વેચવા માટે આવ્યા છે. 10 ખેડૂતોનો માલ રિજેક્ટ થયા સામે, મંડળી દ્વારા અત્યાર સુધીમાં માત્ર 240 ટન સોયાબીનની જ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. આ આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે ખુલ્લા બજારના ભાવ સરકારી ટેકાના ભાવ કરતાં ઘણા ઊંચા છે, જેના કારણે સરકારી ખરીદી કેન્દ્રો પર ખેડૂતોની હાજરી નહિવત્ રહી છે.
શહેર ભાજપ દ્વારા બાબા સાહેબ આંબેડકરના જીવન કવન વિશે પર વાર્તાલાપ યોજાયો ગાંધી-સરદાર-આંબેડકરની ભૂમિ પર દારૂ-ડ્રગ્સના દૂષણ - કોંગ્રેસ ડો.બાબાસાહેબ આંબેડકર કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાની હતા, ભાવનગર શહેરના જશોનાથ સર્કલ ખાતે આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને મહાપરીનિર્વાણ દિન નિમિતે ભાજપ, કૉંગ્રેસ તથા સામાજિક સંસ્થાઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ તેમજ બાબા સાહેબ આંબેડકર ના જીવન કવન વિશે પર વાર્તાલાપ યોજાયો હતો. ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ કુમાર શાહના માર્ગદર્શન તળે શહેર ભાજપ દ્વારા ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમીત્તે પુષ્પાંજલિ તેમજ બાબા સાહેબ આંબેડકર ના જીવન કવન વિશે પર વાર્તાલાપ સહિતના શહેર ભાજપ દ્વારા કાર્યક્રમ યોજાયા હતા, આ કાર્યક્રમમાં ભાવનગર શહેર ભાજપ સંગઠન, શહેર ભાજપ અનુસુચિત જાતી મોરચાની ટીમના હોદેદારો, પ્રદેશ કારોબારી સભ્યો, વરિષ્ઠ આગેવાનો, નગરસેવકો, દરેક વોર્ડના પ્રમુખ, મહામંત્રીઓ, પૂર્વ હોદેદારો, મોરચાના કારોબારી સભ્યો, તેમજ શહેર ભાજપ અનુ.જાતી મોરચાના દરેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. દારૂ, ડ્રગ્સ જેવા કેફી દ્રવ્યો છે એ બંધ થવા જોઈએ - કોંગ્રેસ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના જશોનાથ સર્કલ ખાતે આવેલ ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ફુલહાર તથા શ્રદ્ધા સુમન અપર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસના આગેવાનો, દરેક સેલના આગેવાનો, મહિલાઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. શહેર કોંગ્રેસ એસસી ડિપાર્ટમેન્ટના ચેરમેન વિપુલ ખુમાણએ જણાવ્યું હતું કે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે નગરજનોને કોટિ કોટિ વંદન અને આજે બાબા સાહેબના સાનિધ્યમાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને કોંગ્રેસના આગેવાનો સાથે મળી પુષ્પાંજલિ કરી બાબા સાહેબની મહાન વિચારધારાને વંદન કરવામાં આવેલ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મહાન વિચારધારા દરેક સમાજના લોકોને આર્થિક રીતે, સામાજિક, શૈક્ષણિક રીતે મદદરૂપ બનવા માટેની ભાવનાઓ હતી. બાબા સાહેબ આંબેડકરની સંકલ્પ ભૂમિ પણ ગુજરાત રહી છે. વધુમાં જણાવ્યું હતું કે, આ ગુજરાતની અંદર અત્યારે વર્તમાન સમયની અંદર બેફામ દારૂ, ડ્રગ્સ, આ બધું જે મળી રહ્યું છે, એને પણ અમે આ બાબતે આજના દિવસે ઉજાગર કરવા માંગીએ છીએ કે, ખરેખર આ મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબની ભૂમિ હોય અને બાબા સાહેબની સંકલ્પ ભૂમિ હોય, તો આ મહાન નેતાઓની જો આપણે વંદન કરતા હોઈએ તો ખરેખર અહીંયા જે અમુક પ્રકારના અત્યાચારો અન્યાય અત્યાચાર થાય છે એને અટકાવવા જોઈએ અને સાથોસાથ દારૂ, ડ્રગ્સ જેવા કેફી દ્રવ્યો છે એ બંધ થવા જોઈએ. તો જ આપણે એમની નિર્વાણ દિવસની નિમિત્તે ઉજવણી સાચી સાર્થક ગણાય.
વડનગરના સુલીપુર ગામે પતિ સહિતના મહિલાના સાસરિયાઓએ ટ્રેક્ટર લાવવા 2 લાખ રૂ.દહેજ માંગી શારીરિક-માનસિક ત્રાસ ગુજાર્યો હતો. જે બાદ પુત્ર સાથે પરિણીતાને ઘર માંથી બહાર તગેડી મુકવામાં આવી હતી. જેને લઈ મહિલાએ પોતાના પતિ સહિત 6 સાસરિયાઓ વિરુદ્ધ વડનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પરિણિતાને શારીરીક અને માનસિક ત્રાસ આપતાંવડનગરના સુલીપુર ગામે નાનોવાસમાં રહેતી જીગીશાબેન સોમાજી ઠાકોર નામની મહિલાની ફરિયાદ મુજબ તેના લગ્નદ વર્ષ અગાઉ સુલીપુર ગામના મોટાવાસમાં રહેતા નાગેશ્વર લક્ષમણજી ઠાકોર સાથે સામાજિક રીતે થયા હતા. જ્યાં લગ્ન જીવન દમરીયાન તેમને 4 માસનો પુત્ર હતો. જોકે તેમની સાસરીમાં શરૂઆતમાં સારું રાખ્યા બાદ તેમના પતિ સહિતના લોકો દ્વારા તેમને શારીરીક અને માનસિક ત્રાસ આપી પજવણી કરવામાં આવતી હતી. 2 લાખ રૂપિયાનું દહેજ માંગી ત્રાસ ગુજાર્યોતો મહિલાના સાસરિયાઓની ચઢામણીથી તેનો પતિ ટ્રેક્ટર લાવવા રૂ.2 લાખનું દહેજ માંગતો હતો. જોકે મહિલાનું પિયર ગરીબ પરિસ્થિતિમાં હોઈ દહેજ ના આપતા પતિએ તેને પોતે મૈત્રી કરાર કરી બીજી સ્ત્રીને ઘરમાં લાવવાની હોઈ તેને બહાર કાઢી મુકવા પ્રયાસ કરતો હતો. ચાર વર્ષના પુત્ર સાથે પરિણિતાને ઘરમાંથી બહાર નીકાળી, ગુનો નોંધાયોજે બાદ મહિલાને તેના સાસરિયાઓએ ચાર વર્ષના પુત્ર સાથે ઘરમાંથી બહાર તગેડી મૂકી હતી. સમગ્ર મામલે મહિલાની ફરિયાદ આધારે વડનગર પોલીસેને ત્રાસ આપી દહેજ માંગવા મામલે તેના સસરા રાયમલ મંગાજી ઠાકોર, જેઠ વિક્રમ રાયમલજી ઠાકોર, જેઠાણી રુખીબેન વિક્રમજી ઠાકોર, કાકા સસરા હંકા ભીખાજી ઠાકોર, નંણદોઈ લાખા સવાજી ઠાકોર અને પતિ નાગેશ્વર લક્ષમણજી ઠાકોર મળી 6 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
જામનગરના કિસાન ચોક, હિરાસરવાસ વિસ્તારમાં રહેતા 42 વર્ષીય રાજાભાઈ વેરશીભાઈ વાઘેલા પર તેમના પાડોશી દંપતીએ હુમલો કર્યો હતો. આ હુમલામાં રાજાભાઈને માથામાં ગંભીર ઈજા થતાં તેમને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમને 12 ટાંકા લેવા પડ્યા હતા. આ ઘટના મકાનના વેચાણના પૈસાની લેતીદેતીના મામલે બની હતી. પાડોશમાં રહેતા ખીમાભાઈ કાનજીભાઈ પરમાર અને મુરીબેન ખીમાભાઈ પરમારે રાજાભાઈના માથામાં ડોલ ફટકારી હતી, જેના કારણે તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. આ હુમલા અંગે ઈજાગ્રસ્ત રાજાભાઈની પુત્રી સંજનાબેન વાઘેલાએ સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પાડોશી દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત અને અને જૂના અમદાવાદમાં જવા માટેના પ્રવેશ દ્વાર ગણાતા સુભાષ બ્રિજ પર તિરાડ અને સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના બાદ તંત્રમાં દોડધામ મચી છે. સદનસીબે ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના અટકી છે. પરંતુ, હવે શું તેને લઈ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. બ્રિજ ડિઝાઈન કન્સલ્ટન્ટ અને બ્રિજ એક્સપર્ટ દ્વારા ક્ષતિગ્રસ્ત થયેલા સુભાષ બ્રિજના નીચેના ભાગમાં ઈન્સપેક્સન કરવામાં આવતા બ્રિજમાં તિરાડો અને સ્પાન ખસી ગયેલો જોવા મળ્યો છે. સુભાષબ્રિજનો જે સ્પાનનો ભાગ બેસી ગયો છે. તેના નીચેના ભાગે તિરાડ પડી છે. બ્રિજના ત્રીજા નંબરના સ્પાનનો ભાગ બેસી ગયો છે. બ્રિજ ડિઝાઇન કન્સલ્ટન્ટ અને બ્રિજ એક્સપર્ટ દ્વારા સુભાષ બ્રિજની દરેક તરફથી તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં બ્રિજના એક જ સ્પાનમાં નુકસાન થયું છે. જોકે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર મોરબી અને ગંભીરા બ્રિજની દુર્ઘટનાને ધ્યાનમાં રાખી ઉંઘતું ઝડપાયા બાદ સુભાષ બ્રિજનો સ્પાન બેસી જતાં બ્રિજના અન્ય સ્પાનની પણ તપાસ કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એમ પેનલ કરવામાં આવેલા ડિઝાઇન કન્સલ્ટન્ટ ઉપરાંત SVNIT અને અલગ અલગ એક્સપર્ટ કમિટીના લોકોની પણ મદદ લેવામાં આવી રહી છે. બ્રિજના તમામ સ્પાનની તપાસ કર્યા બાદ અંતિમ નિર્ણય લેવાશેસૂત્રોના જણાવ્યા મુજબ સુભાષ બ્રિજમાં જે સ્પાનમાં તિરાડ પડી અને ભાગ બેસી ગયો છે તે સ્પાનને બદલવામાં આવી શકી છે. અલગ અલગ એક્સપર્ટ દ્વારા આખા સુભાષ બ્રિજના સ્પાન અને પિલ્લર સહિત નહી તપાસ કર્યા બાદ એક સ્પાન સિવાય કોઈ તકલીફ નહીં હોય તો નુકસાન થયેલા ભાગને જ બદલવામાં આવશે. બ્રિજના અન્ય સ્પાનમાં તપાસ બાદ નિર્ણય લેવાશે. ચાર મહિના પહેલા જ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યુંઅમદાવાદના તમામ બ્રિજનું ઇન્સ્પેકક્શન ચોમાસા પહેલા અને પછી કરવામાં આવે છે. સામાન્ય રીતે ચોમાસું 15 જૂનથી શરૂ થતું હોવાની ગણતરી કરવામાં આવતી હોય છે ત્યારે ચોમાસા પહેલા બ્રિજ ઇન્સ્પેક્શન મે અને જૂન મહિનામાં કરવાનું હોય તેની જગ્યાએ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં કરવામાં આવ્યું છે. બ્રિજનું ઇન્સ્પેક્શન કર્યા બાદ તેનું માઇનોર રીપેરીંગ કરવા અંગેનું પણ કન્સલ્ટન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું. પરંતુ 4 મહિના સુધી સુભાષબ્રિજ પર રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું નહીં. ચાર મહિના પહેલા જ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. ભાસ્કર ઇન્સાઈડ: ગંભીર ખામી હશે તો બ્રિજ બેથી ત્રણ મહિના બંધ રહી શકે ભાસ્કરને આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ અને રાજ્ય સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા સુભાષબ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે. બ્રિજની બંને તરફ એક સ્પાનનો ભાગ નમી ગયો છે. બ્રિજનું પ્રાથમિક રીતે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે જેમાં ભાગ નમેલો હોવાને લઈને આ બ્રિજને રિપેરિંગ કરવાની જરૂરિયાત ઊભી થશે. રાજ્ય સરકારના રોડ અને બિલ્ડિંગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા ઊંડાણપૂર્વક ઇન્સ્પેક્શન કરીને આ બાબતે નિર્ણય લેવામાં આવશે. જો બ્રિજમાં ગંભીર ખામી સામે દેખાશે તો બ્રિજને બેથી ત્રણ જેટલા મહિના સુધી બંધ કરવો પડશે.
ખેરગામ નજીકથી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો:10.71 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ
નવસારી LCBએ ખેરગામ નજીકથી વિદેશી દારૂ ભરેલો એક આઈસર ટેમ્પો ઝડપી પાડ્યો છે. પોલીસે ₹10.71 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં 2760 નંગ દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ, સુરત વિભાગ, સુરત અને પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, નવસારીના માર્ગદર્શન હેઠળ LCB, નવસારી દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવી હતી. LCBના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. જાડેજાના નેતૃત્વ હેઠળ, PI એસ.વી. આહીર, PSI વાય.જી. ગઢવી, PSI એમ.બી. ગામીત અને અન્ય સ્ટાફ પ્રોહીબીશન પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યા હતા. 5 ડિસેમ્બર, 2025ના રોજ HC ઐયાઝ મતરફ અને HC બ્રિજેશ સતીશચંદ્રને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, એક આઈસર ટેમ્પો (રજી.નં. GJ-18-AT-8637) દાદરા નગર હવેલીથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરીને વાપી GIDC બ્રિજથી હાઇવે, વલસાડ, ગુંદલાવ, ખેરગામ, રાનકુવા, મહુવા થઈને બારડોલી એક્સપ્રેસ-વે અને કીમ હાઇવે થઈ વડોદરા તરફ જવાનો હતો. આ બાતમીના આધારે, સ્ટેટ હાઇવે નં. 701 પર ખેરગામથી પાણીખડગ જતા રોડ પર રુઝવણી ગામની સીમમાં વંશ ફ્રુટ વેજીટેબલ્સ દુકાન સામે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. નાકાબંધી દરમિયાન, ઉપરોક્ત રજીસ્ટ્રેશન નંબરવાળા આઈસર ટેમ્પોને રોકીને તપાસ કરતા, તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ (વ્હીસ્કી, રમની બોટલો અને ટીન બિયર)નો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગેરકાયદેસર દારૂના વહન બદલ ટેમ્પોના ડ્રાઇવર નારાણભાઈ ધુસાભાઇ ચૌહાણ (રહે. કાનપુર ગામ, દરબારગઢ શેરી, તા. સાયલા, જિ. સુરેન્દ્રનગર)ની ધરપકડ કરી હતી. કુલ ₹10,71,800/-ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં ₹7,66,800/-ની કિંમતની 2760 નંગ વિદેશી દારૂની બોટલો/ટીન, ₹3,00,000/-નો આઈસર ટેમ્પો અને ₹5,000/-નો એક મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. ઝડપાયેલા આરોપી નારાણભાઈ ચૌહાણ વિરુદ્ધ ખેરગામ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર વોન્ટેડ આરોપીઓ દલસુખ ઉર્ફે બગલી માથાસુળિયા (રહે. ચોરવીરા, તા. સાયલા, જિ. સુરેન્દ્રનગર), ગૌરાંગ (રહે. મહેસાણા) અને વાપી GIDC ઓવરબ્રિજ પાસે દારૂનો જથ્થો આપી જનાર અન્ય અજાણ્યા શખ્સની શોધખોળ શરૂ કરી છે.
શક્તિપથ ગર્લ્સ હોસ્ટેલનું ભૂમિપૂજન:મંત્રી નરેશ પટેલના હસ્તે ચીખલીમાં 300 દીકરીની હોસ્ટેલનો શિલાન્યાસ
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કુકેરી ગામમાં 'શક્તિપથ ગર્લ્સ હોસ્ટેલ'નું ભૂમિપૂજન કરવામાં આવ્યું. માલવી એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વાત્સલ્યધામ કેમ્પસ ખાતે આ 300 દીકરીઓની ક્ષમતાવાળી હોસ્ટેલનું નિર્માણ થશે. આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે શાસ્ત્રોક્ત પૂજા-વિધિ સાથે આ શુભ કાર્યનો પ્રારંભ થયો. આ પ્રસંગે મંત્રી નરેશભાઈ પટેલે દીકરીઓના શિક્ષણને 'સમગ્ર સમાજના ઉલ્લેખયુક્ત વિકાસનું સૌથી પ્રભાવશાળી સાધન' ગણાવ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આદિજાતિ દીકરીઓ માટે શિક્ષણ એ સમગ્ર સમાજને સશક્ત બનાવવા માટેનું મુખ્ય માધ્યમ છે. મંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું કે, ભારતમાં સામાજિક સમાનતા અને ન્યાયના મજબૂત પાયા તેમના દ્વારા મૂકવામાં આવ્યા હતા. આદિજાતિ સમાજના વિકાસ માટે તેમના વિચારો આજે પણ માર્ગદર્શક છે. તેમણે આદિજાતિ દીકરીઓની પ્રગતિની પ્રશંસા કરતા કહ્યું કે, આજની દીકરીઓ એન્જિનિયરિંગ, મેડિકલ, નર્સિંગ, સાયન્સ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પોતાની પ્રતિભા દર્શાવી રહી છે. મંત્રીશ્રીએ આદિજાતિ દીકરીઓ IIT જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પણ પહોંચે તેવી આશા વ્યક્ત કરી હતી. મંત્રીએ આદિજાતિ બાળકોના ઉત્કર્ષ માટે સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી વિવિધ યોજનાઓની પણ વિગતો આપી હતી. જેમાં એકલવ્ય શાળાઓ, દૂધ સંજીવની યોજના, કન્યા શાળા, પોષણ કાર્યક્રમ અને શૈક્ષણિક સુવિધાઓના મજબૂતીકરણનો સમાવેશ થાય છે. તેમણે તાજેતરમાં વલસાડમાં યોજાયેલ 'ચિંતન શિબિર'માં આદિજાતિ બાળકોના પોષણ અને આરોગ્ય પર થયેલી ચર્ચા અને આયોજનનો પણ ઉલ્લેખ કર્યો. માલવી એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટની કામગીરીની પ્રશંસા કરતા મંત્રીએ જણાવ્યું કે, સંસ્થાએ અનેક દીકરીઓના જીવનમાં પ્રકાશ પાથર્યો છે અને શિક્ષણની સાથે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારનું સિંચન કરવાનું ઉત્કૃષ્ટ કાર્ય પણ નિભાવી રહી છે. આ નવનિર્મિત હોસ્ટેલથી સ્થાનિક તેમજ આજુબાજુના વિસ્તારોની 300 દીકરીઓને સુરક્ષિત, સંસ્કારી અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે ઉત્તમ માહોલ પ્રાપ્ત થશે. સમારોહના અંતે મંત્રીએ દીકરીઓના શિક્ષણ, સક્ષમતા અને સલામતી માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. તેમણે ઉચ્ચ શિક્ષણ માટે સમગ્ર સમાજને જાગૃતિ અને સહયોગ દર્શાવવા માટે આહ્વાન કર્યું.
આણંદ-જીટોડિયા રોડ પર આવેલા ચાવડાપુરા વિસ્તારના મોટા લક્ષ્મી હેરિટેજ ફ્લેટમાં ગત રાત્રિના સમયે વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાથી ભીષણ આગ ફાટી નીકળી હતી. રાત્રિના સમયે આગ લાગતા ફ્લેટના રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટના અંગે તુરંત કરમસદ-આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફાયર અધિકારી ધર્મેશ ગોરે તાત્કાલિક પગલાં લેવાની સૂચના આપી હતી. તેમની સૂચના મુજબ, ફાયર ડ્રાઇવર રવિ સાબલિયા, લીડિંગ ફાયરમેન ભાવેશ વરુ, તેમજ ફાયરમેન મહેન્દ્રસિંહ રાઠોડ, યુવરાજસિંહ અને હિતેન્દ્ર મહીડા સહિતની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે આગને વધુ ફેલાતી અટકાવવા માટે ઝડપથી પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું. ફાયર ટીમે યુદ્ધના ધોરણે કામગીરી કરીને થોડા જ સમયમાં આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધો હતો. આના કારણે મોટી જાનહાનિ ટળી હતી. પ્રાથમિક તારણ મુજબ, આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી, પરંતુ સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
હિંમતનગરમાં હોમગાર્ડનો 78મો સ્થાપના દિવસ ઉજવાયો:જાગૃતિ માટે પ્લેકાર્ડ સાથે રેલી યોજાઈ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં હોમગાર્ડના 78મા સ્થાપના દિવસ નિમિત્તે જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા હોમગાર્ડ કચેરીથી શરૂ થયેલી આ રેલીમાં જિલ્લા સ્ટાફ અધિકારીઓ અને હોમગાર્ડ જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. દેશના પૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ દ્વારા 6 ડિસેમ્બર 1947ના રોજ હોમગાર્ડની સ્થાપના કરવામાં આવી હતી. આ 78મા સ્થાપના દિવસની ઉજવણી નાયબ પોલીસ અધિક્ષક અને ઇન્ચાર્જ જિલ્લા કમાન્ડન્ટ પાયલ સોમેશ્વરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે અધિકારીઓએ સ્વ. મોરારજી દેસાઈની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યાર બાદ, સાબરકાંઠા જિલ્લા સ્ટાફ ઓફિસર સી.કે. રાવલે લીલી ઝંડી બતાવી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીમાં 'પાણી બચાવો', 'વ્યસન મુક્ત', 'સ્વચ્છતા રાખો' અને 'હોમગાર્ડ સેવા સુરક્ષા શક્તિ' જેવા જાગૃતિ સંદેશા દર્શાવતા પ્લેકાર્ડ અને બેનરો સાથે જવાનો જોડાયા હતા. રેલી જૂની સિવિલ સર્કલ પહોંચી હતી, જ્યાં ડો. બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે તેમની પ્રતિમાને જિલ્લા સ્ટાફ અધિકારીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ રેલી જૂની સિવિલ સર્કલથી નગરપાલિકા સદન, ટાવર ચોક, નવા બજાર, ગાંધી રોડ થઈને સબજેલ પાસેથી પસાર થઈ જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે સમાપ્ત થઈ હતી. આ જાગૃતિ રેલીમાં જિલ્લા હોમગાર્ડ અધિકારીઓ અને હિંમતનગર યુનિટના જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં કુલ 17 હોમગાર્ડ યુનિટ કાર્યરત છે, જેમાં 17 માનદ અધિકારીઓ ફરજ બજાવે છે. જિલ્લામાં કુલ 1238 હોમગાર્ડ જવાનોની સંખ્યા છે, જેમાં 115 મહિલાઓ અને 1123 પુરુષોનો સમાવેશ થાય છે.
અમદાવાદના કાપડના વેપારીએ ક્રિપ્ટો ખરીદવા ગુગલ પરથી કંપની સર્ચ કરીને વાતચીત કરી વિગત આપી હતી. જે બાદ કંપનીના એડવાઈઝરે ઇન્વેસ્ટમેન્ટ કરી સારો નફો કમાવવી આપવાની લાલચ આપી હતી. જેથી વેપારી વિશ્વાસમાં આવીને ક્રિપ્ટો ખરીદવા માટે અલગ અલગ 17 લાખ રૂપિયાના ટ્રાન્જેક્શન કર્યા હતાં. જ્યારે તેને નફો અને રોકાણ કરેલી રકમ પરત માગી ત્યારે તેમને આપવામાં આવી નહોતી જેથી વેપારીએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. ક્રિપ્ટોના નામે કાપડના વેપારી સાથે ઠગાઈમળતી વિગત અનુસાર, શીલજમાં રહેતા મહેન્દ્ર ભાઈ ચંદવાની કપડાની દુકાન ધરાવી ધંધો કરે છે. મહેન્દ્રભાઈને તેમના મિત્ર સાથે ક્રિપ્ટો એક્સચેન્જ પ્લેટફોર્મ માટેની વાત થઈ હતી. ત્યારે WEBULL કંપનીની વાતચીત થઈ હતી. WEBULL વેબસાઈટમાં સંપર્ક કર્યો ને ફસાયામહેન્દ્રભાઈએ ગુગલ પરથી WEBULL કંપની સર્ચ કરીને તેમની વેબસાઈટમાં સંપર્ક કર્યો હતો અને વેબસાઈટમાં આપેલા નંબર પર ફોનથી ખરીદવાની વાતચીત કરી હતી. જે બાદ કંપની દ્વારા મહેન્દ્રભાઈનો સંપર્ક કરીને તેમને એડવાઈઝર પુરા પાડ્યા હતા, જે તેમનું એકાઉન્ટ હેન્ડલ કરતા હતા.મહેન્દ્રભાઈએ શરૂઆતમાં ક્રિપ્ટો માટે 50000 રૂપિયા આપ્યા હતા.જે WEBULLની વેબસાઈટમાં દેખાતા હતા. 17 લાખનું રોકાણ અને વેબસાઈટમાં નફા સાથે 81958 યુએસ ડોલર બતાવ્યાવિશ્વાસ આવતા મહેન્દ્રભાઈએ કુલ અલગ અલગ ટ્રાન્જેક્શન દ્વારા 17 લાખ રૂપિયાના ક્રિપ્ટો ખરીદવા માટેનો રોકાણ કર્યું હતું. જેની સામે તમને વેબસાઈટમાં નફા સાથે 81958 યુએસ ડોલર બતાવતા હતા. આ પૈસા તેમણે વિદ્રો માટે રિક્વેસ્ટ નાખી પરંતુ વિડ્રો થયા ન હતા. રકમ પરત માગી ત્યારે તેને તે પૈસા પરત આપ્યા નહીંતેમને પાસેથી 20 ટકા ટેક્સ ભરવાનું કહ્યું હતું પરંતુ મહેન્દ્રભાઈ ટેક્સ ના ભરીને તેમને ભરેલી મૂળ 17 લાખની રકમ પરત માગી ત્યારે તેને તે પૈસા પરત આપવામાં આવ્યા ન હતા. જેથી સાઇબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો.આ અંગે સાઇબર ક્રાઈમે ગુનો નોધી તપાસ શરૂ કરી છે
ભાવનગરના ઘોઘા ગામને દરિયાઈ સુરક્ષા પુરી પાડતી અને અંગ્રેજોના સમયમાં બનેલી સંરક્ષણ દીવાલ વર્ષ 1996-98 વર્ષથી નામશેષ બની છે, ઘોઘાને દરિયાઈ પાણીથી સુરક્ષિત કરતી પ્રોટેક્શન દીવાલ જે ઘણા વર્ષોથી જમીન દોષ થઈ જતા દરિયામાં હાઈટાઇડના સમયે દરિયાનું પાણી ઘોઘા ગામમાં ઘુસી જાય છે, ત્યારે ગામને દરિયાઈ પાણીથી બચાવવા આ દીવાલને ફરી બનાવવામાં આવે તેવી સ્થાનિકોની માગ છે. સરકારના ચાર વિભાગ ગુજરાત મેરિટાઇમ બોર્ડ, લાઈટ હાઉસ, માર્ગ અને મકાન વિભાગ જિલ્લા પંચાયત અને અલંગ મરીન બોર્ડના સંકલન અભાવે લોકો પર જોખમ તોળાઈ રહ્યું છે, જોકે આગામી સમયમાં હવે વહીવટીતંત્ર આ મામલે વિભાગો સાથે સંકલન સાધી દીવાલ બનાવવા સરકારમાં વર્ષ 2023માં રિપોર્ટ મુકવામાં આવ્યો છે. પણ એ વાતને આજ 3 વર્ષ થયાં છતાં આજદિન સુધી કોઈ ચોક્કસ નિર્ણય થયો નથી. ઘોઘાને દરિયાઈ પાણીથી સુરક્ષિત કરતી પ્રોટેક્શન દીવાલ જમીન દોષભાવનગરનું ઘોઘાગામ કે જે ઘોઘાબંદર તરીકે જાણીતું છે. આ ઘોઘાબંદર કે જે વિશ્વના 80 કરતા વધુ દેશો સાથે વ્યાપાર માર્ગે જોડાયેલું હતું, જ્યાં પહેલાના વહાણવટાના સમયમાં મોટી સંખ્યામાં વહાણોની આવક-જાવક રહેતી હતી અને ઘોઘા બંદર ધમધમતું હતું. જે સમય જતા ઘોઘાબંદરમાં વહાણની અવરજવર ઓછી થઇ અને આજે અહીં માત્ર અલંગ સાથે કામગીરી કરતી ટગબોટની આવન જાવન જોવા મળી રહી છે. દરિયાકાંઠે પ્રોટેક્શન દીવાલ જ નહીં, સ્થાનિકો પરેશાનઆ ઘોઘાબંદરના દરિયા કાંઠે ઘોઘા ગામ વસેલું છે, ઘોઘાનો દરિયો કે જે ખંભાતનો અખાત પણ કહેવાય છે, ઘોઘાનો દરિયો એશિયાઈ દરિયામાં બીજા નંબરનો કરંટ ઘરાવતો દરિયો છે, અંગ્રેજોના સમયમાં આ દરિયાનું પાણી સુનામી કે હાઈટાઇડના કારણે ગામમાં ના ઘુસી જાય તે માટે દરિયાકાંઠે સવા કિલોમીટર જેટલી લાંબી પ્રોટેક્શન દીવાલ બનાવવામાં આવી હતી. દીવાલ જમીન દોષ, તંત્રને વર્ષોથી રજૂઆત છતાં પરિણામ નહીંજે દીવાલ ઘોઘા ગામની અંદર દરિયાઈ પાણીથી સુરક્ષા મેળવવા દરિયા કાંઠે બનાવવામાં આવી હતી. પરંતુ વર્ષ 1996-98 માં દરિયામાં વાવાઝોડા દરમિયાન આ દીવાલ દરિયાઈ મોજાની થપાટોના મારથી જમીન દોષ થઈ હતી. હાલ આ દીવાલનું અસ્તિત્વ નામશેષ થઈ ગયું છે, આ દીવાલ નામશેષ થઈ જતા ગામલોકો દ્વારા તેને ફરી બનાવી આપવા ગ્રામજનો દ્વારા તંત્રને વર્ષોથી રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજદિન સુધી તેનું કોઈ નક્કર પરિણામ નથી આવ્યું. ચાર વિભાગોની સહમતી ના બનતા દિવાલનું કામ ટલ્લે ચડ્યુંઆ પ્રોટેક્શન દીવાલ 1121 મીટર (સવા કિલિમિટર) લાંબી છે, આ દીવાલની જવાબદારી 0થી 142 મીટર-ગુજરાત મેરીટાઇમ બોર્ડ, 142થી 273 મીટર (131 મીટર) લાઈટ હાઉસ, 273થી 644 મીટર (446 મીટર) પંચાયત માર્ગ અને મકાન વિભાગ તેમજ 644થી 827 મીટર (402 મીટર) અલંગ મરીન બોર્ડની મળી 4 અલગ અલગ વિભાગો પાસે હોવાના કારણે તમામ વિભાગોની સહમતી ના બનતા આજદિન સુધી આ દીવાલ અંગે કોઈ ચોક્કસ નિરાકરણ લાવી શકાયું નથી. 2023માં મંજૂરી છતાં 2 વર્ષથી દિવાલનું કામ ટલ્લેપરંતુ આ બાબતે જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ વર્ષ 2021 તમામ ચારેય સરકારી વિભાગોનું સંકલન કરી એક સમિતિ બનાવી તેમાં તમામ વિભાગોની ગ્રાન્ટને એક વિભાગને સોંપી તેના દ્વારા આ કામ કરવામાં આવે તે અંગેની તંત્ર તૈયારી હાથ ધરશે તે અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયમાં પંચાયત વિભાગના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ દિવાલનું નિર્માણ કરવાં માટે વર્ષ 2023માં મંજૂરી માટે મોકલવામાં આવી હતી પણ તે વાતને પણ આજે 2 વર્ષ થયાં છતાં માત્ર વિચારણા હેઠળ હોવાનું અધિકારી જણાવી રહ્યા છે. 'ઘોઘા ગામના અમુક એરીયા બેટની અંદર ફેરવાઈ જશે'આ અંગે ઘોઘા ગામના સ્થાનિક દિનેશ વેગડે જણાવ્યું હતું કે, અમારો એક દરિયાઈ દિવાલનો વર્ષો જૂનો પ્રશ્ન જે છે. એની અવારનવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી એનું નિરાકરણ આવ્યું નથી. અમે ભાજપ સરકારની હારે રહીને કામ કરવાવાળા માણસો છીએ. છત્તાં પણ અમે રજૂઆત સરકારને જ કરી છે. પણ આજદિન સુધી કોઈ નિરાકરણ કેમ આવતું નથી? ખરેખર આનું નિરાકરણ આવવું જોઈએ. આ નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોની અંદર કુદરતી કોઈ પણ ભૂલ થશે તો અમારા ઘોઘા ગામ જે છે, એ અમુક એરીયા બેટની અંદર ફેરવાઈ જશે. એવું અમને હાલ દેખાય છે. એક જે મોટી ટાઇડ હોય છે એકમ, બીજ, ત્રીજની, ત્યારે તમે ગામની પરિસ્થિતિ જુઓ તો એવું લાગે કે અમુક એરીયા પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે એવું તમને જોવા મળશે. તો અમારી સરકારને એવી વિનંતી છે કે આનું કામ આગામી દિવસોની અંદર ચાલુ કરી અને પૂર્ણ કરી આપે, એવી અમારી એક વિનંતી છે. '21 મીટરનો કટકો બનાવીને સરકાર દ્વારા સંતોષ માની લેવાયો'ઘોઘા ગ્રામ પંચાયત ન્યાય સમિતિના ચેરમેન સોહિલ મકવાએ જણાવ્યું હતું કે, ઘોઘાની જે દરિયાઈ દીવાલ છે, તે ઘણા લાંબા સમયથી તૂટેલી હાલતમાં છે. સાવ નામસેસ થઈ ગયેલી છે, જેનાથી ગામમાં જ્યારે મોટા જુવાળ હોય છે ત્યારે પાણી ઘૂસી જાય છે. લોકોને ઘણી બધી હાલાકી ભોગવવી પડે છે. લોકોનું સ્થળાંતર પણ કરવું પડે છે. ઘણી રજૂઆતો કરવા બાદ 21 મીટર જેટલો કટકો બનાવવામાં આવેલો છે. જેમાં આખી એક કિલોમીટરની દીવાલ છે, તેમાંમાંથી માત્ર 21 મીટરનો કટકો બનાવીને સરકાર દ્વારા સંતોષ માની લેવામાં આવ્યો છે. તો અમારી એવી રજૂઆત છે કે જેમ બને તેમ આ દરિયાઈ દીવાલનું કામકાજ ઝડપથી શરૂ કરવામાં આવે અને ગામ લોકોને આમાંથી રાહત આપવામાં આવે. મોરા નામનો વિસ્તારમાં રહેણાકી વિસ્તારમાં પાણી ઘૂસી જાય છેઆ અંગે સિંચાઈ વિભાગના ડેપ્યુટી એન્જીનયર મેહુલ પરમારએ જણાવ્યું હતું કે, ઘોઘાનો જે દરિયો છે વર્ષ 1996-98માં પછી અવારનવાર મોટા વાવાઝોડા અને મોટી ભરતી આવી છે. એમાં અંગ્રેજો વખતની બહુ જૂની દીવાલ હતી એ જર્જરીત થયેલી છે. દર વખતે મોટી પ્રમાણમાં ભરતી આવે છે ત્યારે દરિયાનું પાણી ઘોઘાનો એક મોરા નામનો વિસ્તાર છે ત્યાં રહેણાકી વિસ્તારમાં થોડું ઘણું પાણી આવી જાય છે. ક્યારેય જાનહાની મોટી થઈ નથી. પરંતુ એ લોકોને ક્યારેક ક્યારેક અગવડતા પડતી હોય છે આ બાબતે સરકાર ખૂબ વિચારણા કરી રહી છે. અને ભાવનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ છે તેમના દ્વારા વર્ષ 2022માં એક કમિટી રચવામાં આવેલી છે. કલેક્ટર દ્વારા કમિટીની રચનાઆ બાબતે ભાવનગર કલેકટર દ્વારા વર્ષ 2022-23માં સર્વે કરાયેલો હતો અને કલેક્ટર દ્વારા કમિટીની રચના કરેલી હતી અને સર્વેમાં જાણવા મળ્યું છે જો ચાર વિભાગ દ્વારા જો અલગ અલગ રીતે આ કામગીરી કરવામાં આવે તો એક સૂત્રતા ન જળવાય અને કામમાં વિલંબ થાય આ બાબતે છેલ્લે નક્કી કરી 2023માં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો. 'ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી અને ઘોઘાનો જૂનો પ્રશ્ન સોલ્વ થશે'ડેપ્યુટી એન્જીનયર મેહુલ પરમારએ જણાવ્યું હતું કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા કે અલગ અલગ ચાર વિભાગ દ્વારા જે મિલકત છે એમના દ્વારા ન કરવામાં આવે પરંતુ કોઈ પણ એક વિભાગ દ્વારા સરકારના સૂચન મુજબ એક વિભાગ દ્વારા આખી દીવાલ કરવામાં આવે તો સરકારની જે આ દિવાલની કામગીરી છે એ ગુણવત્તાસભર થાય, એક સાથે થાય અને એક સૂત્રતા જળવાય આ બાબતે સરકાર દરખાસ્ત મોકલી છે કે આખી દીવાલ છે 1121 મીટરની એનો વ્યવસ્થિત સર્વે થાય અને કહેવાય આવનારી મોટી મોટી ભરતીઓ ભવિષ્યની પણ અને મોટામાં મોટા વાવાઝોડા હોય આવનાર 100 વર્ષ સુધી જ્યારે ક્યારેય પણ દિવાલને નુકસાન ન થાય એવી હાઈડ્રોલિજીની ડિઝાઇન ચકાસી ડિઝાઇનનું નિર્માણ થાય આ બાબતે સરકારમાં એક દરખાસ્ત મોકલી છે અને સરકાર આમાં ખૂબ ગંભીર છે વિચારણા હેઠળ છે. અને સરકાર દ્વારા જે પણ સૂચના આપવામાં આવશે જે પણ વિભાગને એ વિભાગ દ્વારા સર્વે કરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી અને જલ્દીમાં જલ્દી આ ઘોઘાનો આજે જૂનો પ્રશ્ન છે એ સોલ થાય કાયમ માટે આ પ્રશ્નનું નિરાકરણ આવે એ બાબતે સરકાર આગળ કામગીરી કરવાની છે.
ઈન્ડિગો સંકટ વચ્ચે વિમાન ભાડું આકાશ આંબ્યું, વિદેશ યાત્રા કરતાં ડોમેસ્ટિક પ્રવાસ મોંઘું
Flight Ticket Price: દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોના સંચાલનમાં આવેલા ગંભીર સંકટને કારણે દેશભરના હવાઈ મુસાફરો પર મોટો આર્થિક બોજ પડ્યો છે. 2 ડિસેમ્બરથી શરૂ થયેલી આ કટોકટીમાં ઇન્ડિગોએ 1,800 થી વધુ ફ્લાઇટ્સ રદ્દ કરી છે, જેના કારણે 2 લાખથી વધુ મુસાફરો પરેશાન થયા છે. મુસાફરોની સૌથી મોટી સમસ્યા એ છે કે તેમને વૈકલ્પિક ફ્લાઇટ્સ મળી રહી નથી અને જે ફ્લાઇટ્સ ઉપલબ્ધ છે, તેનું ભાડું આસમાનને સ્પર્શી રહ્યું છે. વીકેન્ડ પણ ભાડુ વધવાનું એક કારણ આજે, શનિવાર (6 ડિસેમ્બર) અને રવિવાર (7 ડિસેમ્બર) ના વીકએન્ડમાં ફ્લાઇટ ટિકિટના દરોમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે.
ભુજના ભાવેશ્વર નગરમાં આવેલા સિમરન સેલ્સના ઇલેક્ટ્રિકલ ઘર વપરાશની સામગ્રીના ગોડાઉનમાં ગત રાત્રે ભીષણ આગ લાગી હતી. આગ લાગવાથી આસપાસના વિસ્તારમાં ભારે દોડધામ મચી હતી. આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવી હતી. લગભગ રાત્રિના 2 વાગ્યાની આસપાસ આગ ઉપર કાબુ સંપૂર્ણ કાબુ મેળવાયો હતો. આ ઘટનામાં વિવિધ પ્રકારની વિદ્યુત સામગ્રી બળી જતા લાખો રૂપિયાની નુકસાની થવા પામી છે. ફાયર વિભાગે JCBની મદદથી શટર-દીવાલ તોડ્યાભુજ ફાયર કંટ્રોલરૂમને કોલ મળતા જ તાત્કાલિક ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયું હતું. આગ વધુ વિકરાળ હોવાથી અન્ય ત્રણ ફાયર ફાઇટર મંગાવવામાં આવ્યા હતા, આમ કુલ ચાર ફાયર ફાઇટરની મદદથી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ગોડાઉન બંધ હોવાથી આગને કાબુમાં લેવામાં મુશ્કેલી પડી રહી હતી. ફાયર વિભાગે JCB મશીનની મદદથી ગોડાઉનનો શટર અને દીવાલ તોડાવી આગને ફેલાતી અટકાવી હતી. સાડા ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવીઆશરે સાડા ત્રણ કલાકની ભારે જહેમત બાદ 96,000 લીટર પાણીનો ઉપયોગ કરીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આજુબાજુ રહેણાંક વિસ્તાર હોવાથી માનવ સલામતીને ધ્યાનમાં રાખીને નજીકના તમામ રહેવાસીઓની વીજળી પુરવઠો કાપીને તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ઇન્ચાર્જ સ્ટેશન ફાયર ઓફિસર દિલીપ ચૌહાણની સૂચના મુજબ, ભુજ ફાયર સ્ટાફના તમામ કર્મચારીઓ અને ટ્રેની સ્ટાફ આગ બુઝાવવાની કામગીરીમાં જોડાયા હતા.
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી ગામે આવેલી બી.એન. ઇન્ડસ્ટ્રીમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. આ ઘટનાને કારણે કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. આગની જાણ થતાં જ શિફ્ટ સંચાલકો અને કંપનીના મેનેજમેન્ટે તાત્કાલિક કામદારોને સુરક્ષિત સ્થળે ખસેડવાનો આદેશ આપ્યો હતો. કંપની સંચાલકોએ તરત જ ફાયર વિભાગને જાણ કરી હતી. દુર દુર સુધી ધુમાડાના ગોટા દેખાયાપારડી ફાયર વિભાગની ટીમને જાણ થતાં જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. વલસાડ અને વાપીની ફાયર ટીમોની પણ મદદ લેવામાં આવી હતી. આગનો ધુમાડો દૂરથી દેખાતા સ્થાનિકોમાં ડર સાથે કુતૂહલ સર્જાયું હતું. આગ લાગવાનું કારણ અકબંધપારડી ફાયર ટીમની આગેવાની હેઠળ વલસાડ સહિત કુલ ચાર ટીમો આગ બુઝાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે. હાલ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જોકે, પ્રાથમિક માહિતી અનુસાર કોઈ જાનહાનિ થઈ નથી. આગને કાબૂમાં લેવાના પ્રયત્નો ચાલુફાયર વિભાગ આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા અને નુકસાનનું મૂલ્યાંકન કરવા પ્રયાસ કરી રહ્યું છે. આ ઔદ્યોગિક વિસ્તારમાં બનેલી ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં પ્રશાસન દ્વારા સતર્કતા રાખવામાં આવી છે. ઘટના અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
સતત 5મા દિવસે ઈન્ડિગો સંકટમાં, અમદાવાદમાં 19 સહિત આજે પણ દેશભરમાં અનેક ફ્લાઈટ્સ રદ
Image: IANS
પાટણ જિલ્લા પંચાયત માટે 32 બેઠકોની ફાળવણી કરાઈ:રાજ્ય ચૂંટણી આયોગના આદેશ બાદ અનામત બેઠકો નક્કી
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પાટણ જિલ્લા પંચાયતની આગામી સામાન્ય ચૂંટણી માટે બેઠકોની ફાળવણી કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ આદેશ અનુસાર, પાટણ જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકોમાંથી અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને મહિલાઓ માટે અનામત બેઠકો નક્કી કરાઈ છે. આ બેઠકોની ફાળવણી 2011ની છેલ્લી વસ્તી ગણતરીના આંકડાઓને આધારે કરવામાં આવી છે. પાટણ જિલ્લા પંચાયત માટે કુલ 32 બેઠકો નિર્ધારિત કરાઈ છે, જેમાં અનામત બેઠકોનું વિતરણ નિશ્ચિત કરવામાં આવ્યું છે. આ આંકડાઓ મુજબ, જિલ્લા પંચાયત માટે અનુસૂચિત જાતિ (અ.જા.) માટે 3 બેઠકો, અનુસૂચિત આદિજાતિ (અ.આ.જા.) માટે 1 બેઠક અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (સા.શૈ.પ.વ.) માટે 9 બેઠકો ફાળવવામાં આવી છે. આ ફાળવણીમાં સંબંધિત વર્ગોની મહિલાઓ માટેની અનામત બેઠકો સહિત કુલ મહિલા અનામત બેઠકો અને બિન-અનામત બેઠકોની સંખ્યા પણ નિર્ધારિત કરવામાં આવી છે.
ભરૂચની 17 વર્ષીય ઈશ્વરી ગોપાલ શાહે ભારતની સૌથી નાની ઉંમરની ટેરોટ કાર્ડ રીડર બનીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ સિદ્ધિથી ભરૂચનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન થયું છે. બાળપણથી જ ઈશ્વરીને આધ્યાત્મિકતા, સંગીત અને માનસિક ઊર્જામાં રસ હતો. ધોરણ 10 દરમિયાન જાણીતા ટેરોટ રીડર અવની દેહડિયાથી પ્રેરિત થઈને તેણે ટેરોટ કાર્ડ રીડિંગમાં રસ કેળવ્યો. ત્યારથી તેણે આ ક્ષેત્રમાં સઘન મહેનત કરી નોંધપાત્ર પ્રગતિ કરી છે. ઈશ્વરીનું સ્વપ્ન વિશ્વભ્રમણ કરવાનું છે, જ્યાં તે વિવિધ દેશોની સંસ્કૃતિ અને લોકોના સ્વભાવને સમજવા માંગે છે. તે ભારતના યુવાનોમાં સંસ્કારસભર અને વિકાસલક્ષી વિચારસરણી વિકસાવવામાં પણ યોગદાન આપવા ઈચ્છે છે. યુવાનોને સંદેશ આપતાં ઈશ્વરીએ જણાવ્યું કે, આજની પેઢી સોશિયલ મીડિયા અને મોબાઈલમાં ઘણો સમય વિતાવે છે. જો યુવાનો વહેલી સવારે ઉઠવાની ટેવ પાડી પોતાની આંતરિક ઊર્જા,સર્જનાત્મકતા અને સકારાત્મકતા પર ધ્યાન કેન્દ્રિત કરે, તો જીવનની મોટી તકો સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. ઈશ્વરીની આ સિદ્ધિએ તેના પરિવાર, મિત્રો અને સમગ્ર ભરૂચ જિલ્લામાં ગર્વ અને આનંદની લાગણી પ્રસરાવી છે. તેણે સાબિત કર્યું છે કે નાની ઉંમરે પણ દ્રઢ નિશ્ચય, ઈચ્છાશક્તિ અને ક્ષમતા દ્વારા મોટા સપના સાકાર કરી શકાય છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે, 6 ડિસેમ્બર, 2025ના રોજ, ગુજરાતના ત્રણ દિવસીય (તારીખ 5થી 7 ડિસેમ્બર) પ્રવાસના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લેવાના છે. આ મુલાકાતનો મુખ્ય હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'સહકારથી સમૃદ્ધિ'ના સંકલ્પને સાકાર કરવામાં બનાસ ડેરી દ્વારા અમલમાં મૂકાયેલા સફળ 'બનાસ મોડેલ'ની પ્રગતિનું નિરીક્ષણ કરવાનો અને તેને વધુ મજબૂત કરવાનો છે. મંત્રી આજે વાવ-થરાદ વિસ્તારના સણાદર ખાતે આયોજિત મુખ્ય કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યાં તેઓ અનેક મહત્ત્વપૂર્ણ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમોમાં અગથળા (લાખણી) ખાતેના બાયો-સીએનજી અને ફર્ટિલાઇઝર પ્લાન્ટનું લોકાર્પણ તેમજ સણાદરમાં અત્યાધુનિક 150 ટીપીડી મિલ્ક પાવડર અને બેબી ફૂડ પ્લાન્ટના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ થકી કૃષિ મૂલ્ય સંવર્ધન અને સ્વચ્છ ઊર્જા દ્વારા પરિપત્ર અર્થતંત્રને વેગ મળશે, જે સીધો ખેડૂતોની આવક વધારવામાં મદદરૂપ થશે. આ પણ વાંચો, અમિત શાહે અમદાવાદના સિંધુભવન રોડથી શોપિંગ ફેસ્ટિવલનો પ્રાંરભ કર્યો:5 ડિસે.થી 16 જાન્યુઆરી સુધી અમદાવાદીઓને જલસો, ગ્રાહકોને 15થી 35% ડિસ્કાઉન્ટ મળશે મંત્રી અમિત શાહ આજના કાર્યક્રમ દરમિયાન ન્યુ ડેરી પ્લાન્ટ, સણાદર ખાતે સહકારિતા મંત્રાલયની પરામર્શદાત્રી સમિતિની મહત્ત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા પણ કરવાના છે. આ બેઠકમાં સહકારિતા રાજ્ય મંત્રીઓ અને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ બનાસ ડેરીના પ્રાદેશિક પ્રવાસમાં જોડાશે અને ડેરી વિકાસ, પશુધન ઉત્પાદકતા અને જળ સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં થયેલી પહેલોની સઘન સમીક્ષા કરશે. બેઠક બાદ, શાહ સણાદર ખાતે પાવડર પ્લાન્ટ, બટાટાના પ્લાન્ટ, વર્ચ્યુઅલ સોઇલ ટેસ્ટિંગ લેબ અને રેડિયો સ્ટેશન સહિતની આધુનિક સુવિધાઓનું નિરીક્ષણ કરવાના છે. આ મુલાકાત સહકારી પ્રવૃત્તિઓ થકી ગ્રામીણ વિસ્તારોમાં થઈ રહેલા પરિવર્તનને પ્રત્યક્ષ રીતે સમજવા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડશે. આ ઉપરાંત, કેન્દ્રીય ગૃહમંત્રી રૈયા ખાતે ગર્ભ ટ્રાન્સપ્લાન્ટ લેબની મુલાકાત લેશે અને અગથળામાં બાયો CNG પ્લાન્ટના નિરીક્ષણ બાદ મહિલા દૂધ ઉત્પાદકો સાથે સંવાદ કરવાના છે. આ સંવાદ સહકારી ક્ષેત્રમાં મહિલા સશક્તિકરણની ગાથા જાણવા માટેનું મુખ્ય કેન્દ્ર રહેશે. પ્રવાસના અંતે, તેઓ બાદરપુરા (પાલનપુર) ખાતે ઓઈલ મીલ, આટા પ્લાન્ટ અને મધના પ્લાન્ટની પણ મુલાકાત લેશે. આમ, અમિત શાહની આજની બનાસકાંઠા મુલાકાત માત્ર વિકાસકાર્યોના લોકાર્પણ પૂરતી મર્યાદિત ન રહેતા, સહકારિતાના માધ્યમથી કૃષિ, પશુપાલન અને ગ્રામીણ અર્થતંત્રને કેવી રીતે મજબૂત કરી શકાય છે, તેનું નિરીક્ષણ અને માર્ગદર્શન પૂરું પાડશે. 7 તારીખે પણ જુદા-જુદા કાર્યક્રમોમાં હાજરી આપશે કેન્દ્રીય ગૃહ અને સહકારિતામંત્રી અમિત શાહ 7 ડિસેમ્બરે અમદાવાદના ગોતા દેવનગર ખાતે બપોરે 2 વાગ્યે કરોડો રૂપિયાનાં વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ઉપરાંત તેઓ જાહેરસભાને સંબોધન કરવાના છે, જેમાં આશરે 10,000 જેટલા લોકો ઉપસ્થિત રહેશે. તેઓ બપોરે એસજી હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલ નજીક શક્તિ કન્વેન્શન સેન્ટર ખાતે ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત ચુનોતિયાં મુજે પસંદ હૈની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કરવાના છે. સાંજે 6.30 વાગ્યે તેઓ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા યોજવામાં આવેલા પ્રમુખ વરણી અમૃત મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે.
વલસાડ જિલ્લાના પારડીમાં એક અનોખી ઘટના સામે આવી છે, જ્યાં એક જીવદયા પ્રેમી યુવકે અત્યંત ઝેરી રસેલ વાઈપર સાપને સ્ટ્રોની મદદથી CPR આપીને નવજીવન બક્ષ્યું છે. સામાન્ય રીતે મનુષ્યને CPR આપી જીવ બચાવવામાં આવે છે, પરંતુ આ કિસ્સામાં સાપનો જીવ બચાવવામાં આવ્યો. લાકડાનો જથ્થો માથે પડતા સાપ અર્ધબેભાન થયોઘટનાની વિગતે વાત કરીએ તો પારડીની એક ખાનગી શાળાના કેમ્પસમાં ગઇકાલે બે સાપ જોવા મળતા સંચાલકોએ જીવદયા ગૃપના અલી અન્સારીનો સંપર્ક કર્યો હતો. અલી અન્સારીએ શાળામાં પહોંચીને એક સાપને સુરક્ષિત પકડી લીધો હતો. જોકે, બીજા સાપને બચાવવાનો પ્રયાસ કરતી વખતે લાકડાનો મોટો જથ્થો તેના પર પડ્યો હતો. આ દુર્ઘટનામાં સાપને ગંભીર ઈજા પહોંચી હતી અને તેની શ્વાસનળી દબાઈ જવાથી શ્વાસોશ્વાસની ક્રિયા બંધ થઈ ગઈ હતી અને સાપ અર્ધબેભાન થઇ ગયો હતો. શ્વાસ નળીમાં સ્ટ્રો નાખીને યુવકે CPR આપ્યાસાપ અર્ધબેભાન થઇ જતા સાપને બચાવવા માટે અલી અન્સારીએ તેને ખુલ્લા મેદાનમાં લાવ્યા હતા અને પહેલા હાથેથી પમ્પિંગ કર્યું હતું, પરંતુ કોઈ હલચલ ન થતાં તેમણે પ્લાસ્ટિકની સ્ટ્રોની મદદથી જોખમ ખેડીને સાપના મોઢામાં નીચેના ભાગે આવેલી શ્વાસ નળીમાં સ્ટ્રો નાખીને પાંચથી સાત વાર પોતાના મોઢેથી ફૂંક મારી કૃત્રિમ શ્વાસ (CPR) આપ્યો હતો. અલી અન્સારીએ સાપને CPR આપતાં થોડીવાર બાદ સાપમાં હલચલ થવા લાગી અને તેની શ્વાસનળી ફરી શરૂ થઈ હતી, જેનાથી તેને નવજીવન મળ્યું હતું. 'એકનું તો રેસ્ક્યૂ તરત કરી લીધુ પણ બીજો ઇજાગ્રસ્ત થયો'દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં અલી અન્સારીએ જણાવ્યું હતુ કે, ગઇકાલે તેમને શાળામાંથી ફોન આવ્યો હતો અને સંચાલકોએ જણાવ્યું હતું કે શાળામાં બે અજગર જેવા દેખાતા સાપ છે. હું ઘટનાસ્થળે પહોંચ્યો હતો અજગર નહીં પણ અત્યંત ઝેરી 'રસેલ વાઈપર' હતા. જે એશિયાના બીજા નંબરના ઝેરી સાપ ગણાય છે. મેં એક સાપને તો તુરંત પકડી લીધો હતો પરંતું બીજા સાપનું રેસ્ક્યૂ કરતી વેળાએ તેના પર લાકડાનો જથ્થો પડી ગયો હતો. 'કઇ સમજાતું નહોતું પણ તરત સ્ટ્રો માંગીને શ્વાસ નળીમાં નાંખી'અલી અન્સારીએ વધુમાં જણાવ્યું કે,સાપને ઇજા પહોંચતા તેની શ્વાસ નળી બંધ થઇ હોવાનું મને જણાયું હતું. મેં સાપને પમ્પિંગ કર્યું પણ સાપમાં કઇ હલનચલન નહોતું થતું.જેથી શું કરુ એ મને સમજાતુ નહોતું પરંતું તરત મેં સ્કૂલમાં હાજર લોકો પાસેથી સ્ટ્રો માગીને તેને CPR આપી જીવ બચાવ્યો હતો. સાપને CPR આપતી વખતે મારે ઘણુ ધ્યાન રાખવું પડ્યું હતું કારણ કે સાપની શ્વાન નળી મોઢાની અંદર નીચેના ભાગે હોય છે. રસેલ વાઈપર એશિયાનો બીજા નંબરનો સૌથી ઝેરી સાપ છે, મને ડર તો હતો પણ દિલમાં સાપનો જીવ બચાવવાની ઈચ્છા પ્રબળ હતી. 'રીલ્સના ચક્કરમાં જીવ જોખમમાં ન મૂકો'આ ઘટના બાદ અલી અન્સારીએ યુવાનો અને સામાન્ય જનતાને સંદેશ આપતા જણાવ્યું હતું કે, હાલમાં સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવાના ચક્કરમાં યુવાનો સાપ સાથે રમત કરે છે, જેના કારણે વલસાડ જિલ્લામાં 3-4 યુવાનોએ જીવ ગુમાવ્યા છે. સાપ દેખાય તો તેની સાથે છેડછાડ કરવાને બદલે NGO અથવા ફોરેસ્ટ વિભાગને જાણ કરો. 'અંધશ્રદ્ધાથી દૂર રહો અને સમયસર સારવાર કરાવો'અલી અન્સારીએ વધુમાં જણાવ્યું કે, જો કોઈને સાપ કરડે તો કોઈપણ ભુવા, ભગત કે મુલ્લા પાસે સમય બગાડવાને બદલે તાત્કાલિક સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલમાં જાવ. અંધશ્રદ્ધામાં લોકોનો જીવ જોખમમાં મુકાઇ શકે છે, જ્યારે સમયસરની સારવારથી 99 ટકા લોકોનો જીવ બચી શકે છે.
ભારતીય ડાક વિભાગે યુવાપેઢી એટલે Gen-Z સાથે જોડાવાના ઉદ્દેશ્યથી એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આઈઆઈટી ગાંધીનગર ખાતે ગુજરાતની પ્રથમ નવીનીકૃત 'Gen-Z થીમ' આધારિત પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.રાષ્ટ્રીય સ્તરે 15 ડિસેમ્બર સુધીમાં શૈક્ષણિક સંસ્થાઓમાં આવેલી 46 પોસ્ટ ઓફિસનું નવીનીકરણ કરવામાં આવશે. Gen-Zને પોસ્ટ ઓફિસ સાથે જોડવાનો હેતુભારતીય ડાક વિભાગે આધુનિકીકરણની દિશામાં મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. IIT ગાંધીનગર ખાતે ગુજરાતની પ્રથમ નવીનીકૃત Gen-Z થીમ આધારિત પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ દેશવ્યાપી પહેલનો હેતુ પોસ્ટ ઓફિસને યુવા પેઢી Gen-Z સાથે જોડીને તેને જીવંત, વિદ્યાર્થી-કેન્દ્રિત અને ટેક્નોલોજી-સક્ષમ સ્થળો તરીકે પરિવર્તિત કરવાનો છે. મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ અને IIT ગાંધીનગરના નિદેશકે શુભારંભ કરાવ્યોગુજરાત પરિમંડળના મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ ગણેશ વી. સાવળેશ્વરકર અને IIT ગાંધીનગરના નિદેશક પ્રો. રજત મૂના દ્વારા આ પોસ્ટ ઓફિસનો શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે ગુજરાતનું પ્રથમ Gen-Z વિષયક ડાકઘર’ પર એક વિશેષ આવરણ અને IIT ગાંધીનગર પોસ્ટ ઓફિસનું સ્થાયી ચિત્રાત્મક વીરૂ પણ પણ પ્રકાશિત કરવામાં આવ્યું. યુવાનોની સર્જનાત્મકતા, આધુનિક વિચારસરણી અને ટેક્નોલોજીકલ અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઈચીફ પોસ્ટમાસ્ટર જનરલ ગણેશ વી. સાવળેશ્વરકરે જણાવ્યું કે આ પોસ્ટ ઓફિસને ખાસ કરીને યુવાનોની સર્જનાત્મકતા, આધુનિક વિચારસરણી અને ટેક્નોલોજીકલ અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. તેનો દેખાવ અને અનુભૂતિ સંપૂર્ણપણે Gen-Z સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે. સૌથી અગત્યની વાત એ છે કે, IIT ગાંધીનગરના વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી દ્વારા આ પોસ્ટ ઓફિસને નવી ઓળખ આપવામાં આવી છે, તેમના વિચારો ભીંતચિત્રો અને આંતરિક ડિઝાઇનમાં જોવા મળે છે. ‘ટ્રી ઓફ લાઇફ ઓફ IITGN’આઈઆઈટી ગાંધીનગરના નિદેશક પ્રો. રજત મૂનાએ આ પહેલની પ્રશંસા કરતાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે વધુમાં વધુ વિદ્યાર્થીઓ પોસ્ટ વિભાગની આધુનિક સેવાઓનો લાભ લેશે. IIT ગાંધીનગરના વિદ્યાર્થીઓએ રચેલું “ટ્રી ઓફ લાઇફ ઓફ IITGN” ભીંતચિત્ર સંસ્થાના જીવંત પર્યાવરણીય તંત્ર અને પક્ષીઓની સમૃદ્ધ વિવિધતાને ઉજાગર કરે છે, જે આ પોસ્ટ ઓફિસના આકર્ષણમાં વધારો કરે છે. Wi-Fi, કાફેટેરિયા, મિની લાઈબ્રેરી, QR આધારિત ડિજિટલ પેમેન્ટની સુવિધાપોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે માહિતી આપી કે આ નવીનીકૃત IIT પોસ્ટ ઓફિસમાં Wi-Fi, કાફેટેરિયા, મિની લાઈબ્રેરી, QR આધારિત ડિજિટલ પેમેન્ટ, પાર્સલ પેકેજિંગ, ફિલેટેલી અને ડાક જીવન વીમા જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓ માટે સ્પીડ પોસ્ટમાં વિશેષ છૂટ પણ આપવામાં આવી છે. આ પરિવર્તન યુવાઓના સશક્તિકરણ અને જનસેવાના આધુનિકીકરણનું એક ઉત્કૃષ્ટ પ્રતીક બની ગયું છે. IIT વિદ્યાર્થીઓ-ફેકલ્ટીને Gen-Z થીમ આધારિત ડિઝાઇનમાં યોગદાન બદલ સન્માનિતઆ પ્રસંગે IIT વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને Gen-Z થીમ આધારિત ડિઝાઇનમાં તેમના યોગદાન બદલ સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આ અવસરે ડાક વિભાગ અને IIT ગાંધીનગરના અનેક અધિકારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બોટાદમાં GSDM દ્વારા સંચાલિત માઈક્રોવેવ ક્લાસની બહેનોને ઘરેલું હિંસા અધિનિયમ 2005 અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યક્રમ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા અને જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ.આઈ. મન્સૂરીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ માર્ગદર્શન સત્રમાં ઘરેલું હિંસાથી મહિલાઓનું રક્ષણ અધિનિયમ 2005 વિશે વિગતવાર માહિતી આપવામાં આવી. આ અધિનિયમનો મુખ્ય ઉદ્દેશ ઘરેલું સંબંધોમાં મહિલાઓ પર થતી શારીરિક, માનસિક, જાતીય, ભાવનાત્મક અને આર્થિક હિંસાથી તેમનું રક્ષણ કરવાનો છે. પીડિત મહિલાઓ પોલીસ સ્ટેશન કે કોર્ટમાં ગયા વિના તાત્કાલિક આશ્રય, તબીબી સહાય અને કાઉન્સેલિંગ જેવી મદદ મેળવી શકે છે. આ માટે પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર, સખી વનસ્ટોપ સેન્ટર, 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને શી ટીમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, જિલ્લા મહિલા બાળ અધિકારી કચેરી દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ જેવી કે વાહલી દીકરી યોજના, વિધવા સહાય, મહિલા સ્વાવલંબન અને ગંગા સ્વરૂપા પુનઃલગ્ન યોજના વિશે પણ માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં 1098 હેલ્પલાઇન દ્વારા ચિંતિત બાળકો અને પુખ્ત વયના વ્યક્તિઓ કઈ રીતે મદદ મેળવી શકે તેની પણ વિસ્તૃત સમજ આપવામાં આવી. ઉપસ્થિત તમામ બહેનોને સેનેટરી પેડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
વલસાડ જિલ્લાના વાપી શહેરમાં આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. વાપીના સરસ્વતીનગર સરકારી કોલોનીમાં રહેતા 29 વર્ષીય અનુપમ ગંગાપ્રસાદ અવસ્થીએ શુક્રવારે પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. તેણે પંખાના હુક સાથે ગમછો બાંધી આત્મહત્યા કરી હતી. આ ઘટના અંગે વાપી ટાઉન પોલીસ મથકે સંતોષ ચંદ્રશેખર પાંડેએ અકસ્માત મોતની જાણ કરી હતી. સંતોષ પાંડેએ જણાવ્યું કે તેઓ અનુપમ અવસ્થી સાથે પૂજાપાઠના કામ માટે આવતા-જતા હતા. ઘટનાના એક દિવસ પહેલાં રાત્રે અનુપમે સંતોષ પાંડેના ઘરે આવી બીજા દિવસે ગૃહપ્રવેશના કાર્યક્રમમાં પંડિત તરીકે જવાનું હોવાનું જણાવ્યું હતું. જોકે, બીજા દિવસે સવારે અનુપમનો ફોન ન લાગતા સંતોષ પાંડેએ તેમના પુત્રને તેને બોલાવવા મોકલ્યો હતો. રૂમનું બારણું ન ખુલતા શંકા પેદા થઈ હતી. બપોરે ગૃહપ્રવેશ હવન દરમિયાન સંતોષ પાંડેને તેમની પત્ની પ્રતીમાબેનનો ફોન આવ્યો કે અનુપમે રૂમમાં આત્મહત્યા કરી લીધી છે. સંતોષ પાંડે, રૂમમાલિક, વાપી ટાઉન પોલીસની ટીમ અને અન્ય લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને એમ્બ્યુલન્સ દ્વારા મૃતદેહને CHC ચલાસા ખાતે લાશના PMની કાર્યવાહી માટે મોકલાવ્યો હતો. જાહેરાત આપતા સંતોષ પાંડે અને મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે અનુપમ અવસ્થીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું. વાપી ટાઉન પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડમાં બાળકી પર શ્વાનોનો હુમલો:નગરપાલિકાએ રખડતા શ્વાનોને પકડવા અને ખસીકરણ માટે ટેન્ડર બહાર પાડ્યું
વલસાડ શહેરને અડીને આવેલા ભાગડાવાડા વિસ્તારમાં એક બાળકી પર પાંચ જેટલા શ્વાનોએ હુમલો કર્યો હતો. સ્થાનિક લોકો સમયસર દોડી આવતા બાળકીને વધુ નુકસાન થતું અટકાવવામાં આવ્યું હતું. આ ઘટના બાદ સોસાયટીના રહીશો અને સ્થાનિક લોકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આ રજૂઆતને પગલે, વલસાડ નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા શ્વાનોની સમસ્યાને નિયંત્રણમાં લેવા માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. નગરપાલિકાએ શ્વાનોને પકડવા તેમજ તેમનું ખસીકરણ (નસબંધી) કરવા માટેની કામગીરીના ટેન્ડર બહાર પાડ્યા છે. નગરપાલિકાના CO કોમલબેન ધિનૈયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા હાલ શ્વાનોને પકડવા અને તેમનું ખસીકરણ કરવા માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એજન્સીની નિમણૂક થશે. આ એજન્સી દ્વારા રખડતા શ્વાનોને પકડી, તેમનું ખસીકરણ કરી અને જે તે જગ્યાએ છોડી દેવામાં આવશે. CO ધિનૈયાએ વધુમાં ઉમેર્યું કે, શ્વાનોનો આતંક વધતો અટકાવવા નગરપાલિકા દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી છે. એજન્સીની નિમણૂક થયા બાદ કામગીરી સત્વરે શરૂ કરવામાં આવશે. તેમણે શિયાળામાં શ્વાનો દ્વારા બચકા ભરવાના બનાવો વધવાની શક્યતા પણ વ્યક્ત કરી હતી. વલસાડ નગરપાલિકાની આ કામગીરી ગુજરાતની તમામ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાના આધારે કરવામાં આવી રહી છે. હાલમાં, નગરપાલિકા દ્વારા વેટરનરી ડૉક્ટરની સલાહ પણ લેવામાં આવી રહી છે. શ્વાનોને પકડીને તેમના ખસીકરણની કામગીરી સત્વરે શરૂ થવાથી શહેરના નાગરિકોને રખડતા શ્વાનોના ત્રાસમાંથી રાહત મળશે અને જાહેર સલામતી જળવાશે તેવી અપેક્ષા છે.
પાટણમાં ઠંડીનો ચમકારો:તાપમાન 13 ડિગ્રી, ગરમ વસ્ત્રોની ખરીદી માટે લોકોનો ધસારો વધ્યો
પાટણ શહેરમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ઉત્તર દિશામાંથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જે વહેલી સવારે 13 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. ઠંડી વધતાની સાથે જ શહેરીજનો સવારથી ગરમ વસ્ત્રો પહેરીને કામધંધે નીકળતા જોવા મળ્યા હતા. પ્રગતિ મેદાન વિસ્તારમાં ગરમ વસ્ત્રોની ખરીદી માટે લોકોનો ધસારો વધ્યો છે. ઠંડીથી બચવા લોકો તાપણાં કરીને રક્ષણ મેળવી રહ્યા છે. આ ઠંડીનો ચમકારો ઘઉં, જીરુ, વરિયાળી, રાયડો અને અજમો જેવા શિયાળુ પાકો માટે ફાયદાકારક સાબિત થશે. ખેડૂતો આ ઠંડીને પાક માટે અનુકૂળ માની રહ્યા છે. છેલ્લા બે દિવસથી શિયાળાની અસર વર્તાઈ રહી છે અને આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધુ વધવાની શક્યતા છે.
વીજકાપ:દાહોદના ગોદીરોડ વિસ્તારમાં પાંચ દિવસનો પાણી કાપ, 25 હજાર લોકોને અસર થશે
દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારના આશરે 25 હજાર લોકોને ફરી એક વખત પાણીની સમસ્યાનો સામનો કરવો પડશે. ગોદીરોડ વિસ્તારને પાણી પૂરું પાડતી કડાણા યોજનામાં આવશ્યક સમારકામ અને અપગ્રેડેશન કામગીરી હાથ ધરાનાર હોવાથી 7 ઓગસ્ટથી 12 ઓગસ્ટ સુધી એટલે કે સળંગ 5 દિવસ માટે પાણીનો કાપ હોવાનું નગર પાલિકા દ્વારા જણાવવામાં આવ્યુ છે. પ્રાપ્ત માહિતી મુજબ દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારને પાણી પુરુ પાડતી કડાણા યોજનાના મુખ્ય પમ્પિંગ સ્ટેશનો ભાણાસીમળ, આફવા અને કુંડા ખાતે મોટુ કામ હાથ ધરાનાર છે. આ કાર્ય દરમિયાન કુલ 12 નવી પમ્પિંગ મશીનરી નાખવામાં આવશે. આ ઉપરાંત પાણી વિતરણની વ્યવસ્થા સુધારવા માટે નવા એરવાલ્વ નાખવા અને નવી મોટરો માટેનું ઇલેક્ટ્રીક વર્ક પણ પૂર્ણ કરવામાં આવશે. આ સાથે દાહોદ શહેરમાં 11 લાખ લીટરની નવી ટાંકી અને સંપનો પ્રારંભ કરવાનો હોઇ તેની પણ અંતિમ ચરણની કામગીરી કરવામાં આવનાર છે. તેના કારણે ગોદીરોડ વિસ્તારમાં પાંચ દિવસ પાણીનો કાપ રાખવામાં આવ્યો છે. ગોદીરોડ વિસ્તારને કડાણા યોજનામાંથી પાણી આપવામાં આવે છે જ્યારે બાકીના દાહોદ શહેરને પાટાડુંગરી યોજનામાંથી પાણી મળે છે. કડાણા યોજનામાં વિવિધ તકનીકી ક્ષતિઓને કારણે ગોદીરોડ વિસ્તારની પ્રજાને વર્ષમાં ત્રણથી ચાર વખત દિવસો સુધી પાણી માટે તકલીફ વેઠવી પડે છે. આ નવી અને વિસ્તૃત કામગીરી પાછળનો મુખ્ય હેતુ પાણીની આ સમસ્યાને પૂર્ણ રીતે અને કાયમી ધોરણે દૂર કરવાનો છે. શહેરમાં પણ પાણી સપ્લાયમાં એક દિવસ લંબાવવામાં આવશે દાહોદની પાણીની જરૂરિયાત આશરે 20 એમ.એલ.ડી.ની છે. જેમાં આશરે 6 થી 7 એમ.એલ.ડી. પાણી પાટાડુંગરી પુરું પાડે છે. આ સિવાય આશરે 11 થી 12 એમએલડીની કડાણા જળાશય દ્વારા પૂર્તિ થાય છે. દાહોદ શહેરમાં આમેય ત્રણ દિવસે એક વખત પાણી આપવામાં આવે છે. ગોદીરોડ સિવાયના શહેરની પાણીની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે કડાણાનું 4 એમએલડી પાણી લેવામાં આવે છે. ત્યારે હવે કડાણા યોજનામાં કામગીરી શરૂ થવાની છે ત્યારે શહેરમાં અપાતા પાણીના સપ્લાયમાં પણ એક દિવસ લંબાશે. એટલે કે શહેરની પ્રજાને ત્રણની જગ્યાએ ચાર દિવસે પાણી મળશે. એમજીવીસીએલ દ્વારા 66 કેવીની એક્સપ્રેસ લાઇન શરૂ કરી દેવામાં આવી કડાણાથી પામી લાવવામાં અનિયમિત વીજ સપ્લાયનો મોટો રોલ હતો.ત્યારે દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર, દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને કુબેરભાઇ ડિંડોરના પ્રયત્નોથી એમજીવીસીએલ દ્વારા 66 કેવીનું એક અલગથી સબસ્ટેશન ઉભુ કર્યુ છે. ખાસ કડાણાની લાઇન માટે 66 કેવીની એક્સપ્રેસ લાઇન શરૂ થઇ ગઇ છે. ગોદીરોડ વિસ્તારની સમસ્યાનો કાયમી નિકાલ આવે તે માટે મશીનરીની કામગીરી શરૂ કરાનાર છે. આ સમયગાળા દરમિયાન પ્રજાએ પૂરતો પાણીનો સંગ્રહ કરી લેવો અને સમારકામની કામગીરીમાં સહકાર આપવા વિનંતી છે. જેથી નિર્ધારિત સમયમાં કાર્ય પૂર્ણ કરી પાણી પુરવઠો પૂર્વવત કરી શકાય.- નીરજ દેસાઇ, પ્રમુખ, દાહોદ નગર પાલિકા
પરિસંવાદનું આયોજન:ડીટવાસની આશ્રમ શાળામાં રેન્જ IGનો બાળકો સાથે પરિસંવાદ યોજાયો
ડીટવાસ પો.સ્ટે.વિસ્તારમાં આવેલ વૃંદાવન આશ્રમ શાળા, કરવાઇ કંપા ખાતે પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ-ગોધરા રેન્જ તેમજ મહીસાગર એસપી સફીન હસન દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જેમા શાળાના પ્રમુખ ઉપેન્દ્રભાઇ પટેલ, શિક્ષકગણ તેમજ શાળામાં અભ્યાસ કરતા ધો.1 થી 12ના વિધાર્થીઓ હાજર રહ્યાં હતાં. આઇ.જી.પી. દ્વારા આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ સાથે પોતાના જીવનમાં બાળપણથી લઇ નોકરી મેળવવા સુધી કરેલ સંઘર્ષ વિશે માર્ગદર્શન આપ્યુ હતું. આશ્રમ શાળામાં પોલીસ વિભાગને લગતા કોઇ પ્રશ્નો હોય તો તેનો સત્વરે નિરાકરણ લાવવા બાંહેધરી આપવામાં આવી હતી. જીવનમાં સફળ થવા સારૂ કઇ રીતે અભ્યાસ કરી આગળ વધવુ તે બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ. આશ્રમ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માતા પિતાની આર્થિક તથા સામાજિક પરિસ્થિતીથી વાકેફ થઇ તેઓ જીવનમાં આગળ જઇ શું બનવા માગે છે ? તે બાબતે વિશેષ ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ. તેમજ શાળાના શિક્ષકો સાથે પરિસંવાદ યોજવામાં આવ્યો હતો.વિધાર્થીઓ અને પોલીસ વચ્ચે સંવાદનો સેતુ રચાય તે હેતુથી કોમ્યુનીટી પોલીસીંગનુ ઉત્તમ ઉદાહરણ રેન્જ આઇ.જી.પી. તથા એસ.પી. મહીસાગરનાઓ ધ્વારા પુરૂ પાડવામાં આવ્યું હતું.
ખેડૂતને તાલીમ અપાઈ:દાહોદ આણંદ કૃષિ યુનિ.ના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં 1 દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમ
આણંદ કૃષિ યુનિ. જૈવિક નિયંત્રણ પ્રયોગશાળા, આણંદ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દાહોદના સંયુક્ત ઉપક્રમે ટ્રાયબલ સબ પ્લાન યોજના અંતર્ગત શિયાળુ પાકોમાં સંકલિત રોગ-જીવાત વ્યવસ્થાપન વિષય પર એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લાના મુણધા, પીપલીયા, નગરાલા, નાંદવા, ગલાલીયાવાડ અને લીંમડીયા ગામોના કુલ 25 જેટલા જૈવિક ખેતીપ્રેમી ખેડૂતોએ આ તાલીમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન ડૉ.એન.બી. પટેલ, મુખ્ય સંશોધન વૈજ્ઞાનિક દ્વારા ટીએસપી યોજના તથા જૈવિક કીટનાશકોના ઉપયોગ દ્વારા જીવાતોનું સંકલિત વ્યવસ્થાપન વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડૉ.જી.કે. ભાભોર, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કેટલીકે, દાહોદ દ્વારા ખેડૂતોને વિવિધ પાકોમાં પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ડૉ.જૈના વી. પટેલ, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક દ્વારા શિયાળુ પાકોમાં રોગોના સંકલિત વ્યવસ્થાપન અંગે માહિતી આપી હતી. ડૉ.એન.આર. ચૌહાણ દ્વારા સંકલિત જીવાત વ્યવસ્થાપન અને ડૉ.યુ.સી. ગામીત દ્વારા શિયાળુ શાકભાજી પાકોનું મહત્વ સમજાવ્યું હતું. કીટનાશક છંટકાવ માટેના સ્પ્રેયર, મેટારીઝીયમ એનીસોપ્લી, બેસીલસ થુરીન્જીયન્સીસ, સ્યૂડોમોનાસ ફ્લૂરોસન્સ જેવા જૈવિક કીટનાશકો તેમજ જૈવિક નિયંત્રણ સંબંધિત પુસ્તિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જવાનનું ભવ્ય સ્વાગત કરાયું:ભાધરોલી બુઝર્ગનો યુવક આર્મીની ટ્રેનિંગ લઇ આવતા સ્વાગત કરાયું
કાલોલ તાલુકાના ભાધરોલી ગામના વતની સોલંકી દીવ્યરાજસિંહ ગણપતસિંહ આર્મી ટ્રેનિંગ પુરી કરીને પોતાના વતન પરત ફરેલા જવાનનું કાલોલ બસ સ્ટેન્ડ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં ગામના લોકોએ જવાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું, જેમાં તેમના પરિવાર, મિત્રો અને ગામના આદરણીય નાગરિકો સામેલ થયા હતા. કાલોલ ખાતેથી સ્વાગત બાદ કાલોલ બસ સ્ટેન્ડથી ભાધરોલી બુઝર્ગ ગામે ડીજેના તાલે દેશ ભક્તિ સંગીતના ગીતો સાથે શોભા યાત્રા નીકળી હતી. ત્યારે આ શોભાયાત્રામાં ભાધરોલી ગામ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખુબજ મોટી સંખ્યામાં મહિલાઓ બાળકો અને યુવાનો ઉપસ્થિત રહી કાલોલથી ભાધરોલી બુઝર્ગ ગામે જવા માટે શોભાયાત્રા નીકળીને ગામમાં આવી પહોંચ્યા હતા.
દારૂ ઝડપાયો:લીમખેડા પોલીસે ટ્રકમાંથી રૂા. 14.22 લાખનો દારૂ ઝડપ્યો
લીમખેડા પોલીસે આઇસર ટ્રકમાંથી કરિયાણાના સામાન ભરેલા થેલાની આડમાં લઈ જવાતો ગેરકાયદે દારૂ ઝડપી પાડ્યો છે. લીમખેડા તાલુકાના પાલ્લી ગામે દાહોદ-ગોધરા હાઈવે પર ધાનપુર ચોકડી પાસે મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે એક આઇસર ટ્રકને રોકી તેની તલાશી લીધી હતી. ટ્રકમાં સોયાબીન, મમરા અને બિસ્કિટના થેલાની આડમાં ગુજરાતમાં પ્રતિબંધિત ભારતીય બનાવટનો પર પ્રાંતિય ઇંગ્લિશ દારૂ અને બિયરની કુલ 170 પેટીઓમાંથી 5,250 બોટલો મળી આવી હતી. મુદામાલની બજાર કિંમત રૂ. 14,22,000 જેટલી થાય છે. ટ્રક નંબર DD-01-AG-9114 માંથી દારૂની હેરાફેરી કરતા પ્રાપ્ત થયેલા આરોપી, મધ્યપ્રદેશના દેવાસ તાલુકા વિસ્તારના રહેવાસી ફૈજાન અસલમને ઘટના સ્થળેથી જ ઝડપી પાડવામાં આવ્યો છે.
ભાસ્કર ફોલોઅપ:કણજીપાણી ગામના ઇન્ચાર્જ તલાટી સસ્પેન્ડ, ખાતાકીય તપાસના આદેશ
જાંબુઘોડા તાલુકાના કણજી પાણી ગામના ઇન્ચાર્જ તલાટીને બોગસ લગ્ન સર્ટિફિકેટ આપવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે તાત્કાલિક અસરથી ડીડીઓ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે સાથે જાંબુધોડાના ટીડીઓને લગ્ન નોંધણી બાબતની તપાસ કરવા ટીમની રચના કરી છે. તપાસ કરીને રીપોર્ટ ડીડીઓને અહેવાલ આપવામાં આવશે. જયારે કણજીપાણી ગામમાં લગ્ન નોંધણીમાં ગામમાં રામજી મંદિરનો ઉલ્લેખ કર્યો તેવું મંદિર ગામમાં ના હોવાનો દાવો સરપંચ પતિ દ્વારા કરવામાં આવ્યો છે. સરદાર પટેલ ગ્રુપના લાલજી પટેલ દ્વારા જાંબુઘોડા તાલુકાના કણજી પાણી ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ તલાટી દ્વારા બોગસ લગ્ન સર્ટીફીકેટ આપવામાં આવ્યા હોવાના તેમજ વર્ષ 2025માં બોગસ લગ્ન સર્ટીફીકેટ આપી તલાટી દ્વારા રૂા.50 લાખ મેળવવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. તેમજ તલાટીનો એક લગ્ન નોંધણી દીઠ 2500 રૂા. પ્રમાણે બે હજાર કરતા વધુ લગ્ન નોંધણી કરીને લાખો રૂપિયા કમાઇને રાજસ્થાનમાં જમીન લીધો હોવાનો વિડીયો વાઇરલ થયો હતો. જેને લઇને પંચમહાલ જિલ્લા પંચાયત દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમજ આક્ષેપિત તલાટી એ.કે.મેઘવાલને તાત્કાલિક અસરથી ડીડીઓ દ્વારા સસ્પેન્ડ કરાવવામાં આવ્યા છે. ડીડીઓની સુચના મુજબ તપાસ કરવા માટે જાંબુઘોડા તાલુકા પંચાયતની એક ટીમની પણ રચના કરવામાં આવી છે. તલાટીને સસ્પેન્ડ કરી ખાતાકિય તપાસનો હુકમમિડિયામાં કણજીપાણીના તલાટીનો વિડીયો વાઇરલ થયો છે. જેથી તાત્કાલિક અસરથી તલાટી એકે.મેધવાલને સસ્પેન્ડ કર્યો છે. જાંબુઘોડાના ટીડીઓને સમગ્ર મામલાની તપાસ કરવાનો હુકમ કર્યો છે. તેમજ વાઇરલ વિડીયોમાં તલાટી આટલા રૂપિયા કમાયો છુ અને જમીનો ખરીદી છે. તેમ જણાવતો હોવાથી તેની સામે ખાતાકિય તપાસ કરવામાં આવશે. ડી કે ગરાસિયા, ડેપ્યુટી ડીડીઓ, પંચમહાલ
ગાંજાનું વેચાણ કરનાર ઝડપાયો:સાગબારા ગોન આંબલા ગામે ગાંજાનું વેચાણ કરતો ઝબ્બે
સાગબારાના ગોન આંબલા ગામે ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમી નર્મદા એસઓજીને મળી હતી. પોલીસની ટીમે ગામમાં દરોડો પાડયો હતો. જેમાં શ્રાવણ રૂપસિંગ તડવીના ઘરની તલાશી લેવામાં આવી હતી. જેમાં ગાંજાના ફૂલ 103 ગ્રામ સહિતની સામગ્રી મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી શ્રાવણ તડવીની ધરપકડ કરી હતી જયારે રતન ભોઇ ભાગી ગયો હતો. ફરાર થઇ ગયેલો આરોપી મહારાષ્ટ્રના નંદુરબારનો રહેવાસી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે શ્રાવણ તડવી મહારાષ્ટ્ર થી ગાંજો રતન ભોઈ પાસે મંગાવી તેનું વેચાણ કરતાં હતાં. નર્મદા જિલ્લો સરહદી જિલ્લો હોવાથી નશાકારક વસ્તુઓની હેરાફેરી માટે સલામત ગણવામાં આવે છે પણ પોલીસ પણ સતર્ક હોવાથી બુટલેગરો અને ડ્રગ પેડલરોને ફાવટ આવતી નથી.
આયુષમેળાનું આયોજન:ભરૂચ જિલ્લામાં ચિકિત્સા અને પ્રાકૃતિક ઉપચારની જાણકારી આપવામાં આવી
ભરૂચ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા આજે ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતેજિલ્લા કક્ષાનો આયુષ મેળો યોજાયો હતો. મેળામાં નાગરિકો માટે આરોગ્ય સંબંધી વિવિધ ચિકિત્સા પદ્ધતિઓ અને પ્રાકૃતિક ઉપચારના આંશિક અનુભવ માટે કુલ 12 જેટલા થીમ આધારિત સ્ટોલ મૂકવામાં આવ્યા હતા. જેમાં આયુર્વેદ ઓપીડી: નાગરિકોની તબીબી તપાસ તથા આયુર્વેદિક દવાઓનું વિતરણ, હોમિયોપથી ઓપીડી, બાળરોગ અને સ્ત્રીરોગ ચિકિત્સા, જરા રોગ, અગ્નિકર્મ - મર્મચિકિત્સા - નશ્યકર્મ જેવી પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓનું પ્રદર્શન, સુગર ચેક-અપ કેમ્પ,રસોડાની ઔષધિ અને પૌષ્ટિક આહાર વિશે માર્ગદર્શન અને યોગ નિદર્શન તથા દૈનિક જીવનમાં યોગના મહત્ત્વ અંગે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. આ મેળામાં જિલ્લાઆયુર્વેદ અધિકારી ડો. આમ્રપાલી પટેલ અને વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબોએ ઉપસ્થિત રહી નાગરિકોને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
દારૂ ઝડપાયો:માંડવા પાસે ઝડપાયેલા દારૂ કેસમાં બે ફરારની ધરપકડ
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ગામેથી ઝડપી પાડેલદારૂના કેસમાં ફરાર 2 આરોપીની કરી ધરપકડ હતી. પોલીસે દારૂનો જથ્થો ભરી આપનાર ઝગડીયા તાલુકાના નાના સાંજાના બે ઈસમ ને ઝડપી પાડ્યા હતા. 21 મી સપ્ટેમ્બરના રોજ ભરૂચ એલસીબી ઇનોવા કાર મળી કુલ રૂ. 3.75 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. માંડવા ગામે દારૂની ખેપ મારવા આવેલ ઈસમને ગત તારીખ 21 મી સપ્ટેમ્બરના રોજ ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી દારૂની બોટલ, મોબાઈલ તેમજ ઇનોવા કાર મળી કુલ રૂ. 3.75 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસે કારમાં બેસેલ રીંકુ રામુ વસાવા નામના ઈસમની અટકાયત કરી હતી જ્યારે અન્ય 2 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે આ મામલામાં દારૂનો જથ્થો ભરી આપનાર ઝગડીયા તાલુકાના નાના સાંજા ગામના અલ્પેશ વસાવા અને ઠાકોર વસાવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી ઓ છેલ્લા 3 માસથી ફરાર હતા જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. બને આરોપીની ધરપકડ કરી અંકલેશ્વર તાલુકા પોલીસ ના હવાલે કર્યો હતો.
1,000 આદિવાસી બાળકોને ભાગવત ગીતાનું વિતરણ:700 શ્લોકોના શબ્દાર્થ-ભાવાર્થ સમજાવવાનો પ્રયાસ
ડિસેમ્બર મહિનાના પ્રારંભ થી મોક્ષદા એકાદશી એટલે કે ગીતા પ્રાગટ્ય દિવસ નિમિત્તે નર્મદા જિલ્લાના ત્રણ તાલુકાની શાળાઓ રોશની માધ્યમિક શાળા, ગરૂડેશ્વર, કે એમ શાહ શાળા, તિલકવાડા અને આદર્શ નિવાસી શાળા, નાંદોદમાં ભગવદગીતા વિતરણ કાર્યક્રમ યોજાયો. ઇસ્કોન મંદિર જહાંગીરપુરા સુરત થી પધારેલા કેશવ શ્યામ સુંદર દાસ કે જે પૂર્ણકાલીન રીતે ભગવત ગીતાના પ્રચારમાં જોડાયેલા છે. પંચાયત માર્ગ અને મકાન વિભાગ રાજપીપળાના નાયબ કાર્યપાલક ઇજનેર ચિરાગ સોની અને અન્ય દાતાઓના સહયોગથી ત્રણ શાળાઓના આશરે 1000 આદિવાસી વિધાર્થીઓને ભગવદ ગીતાની તેના મૂળ રૂપે આવૃત્તિ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવી. ઇસ્કોન એટલે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભવનામૃત સંઘના સંસ્થાપક આચાર્ય જેને પ્રેમથી લોકો શ્રીલ પ્રભુપાદના નામે ઓળખે દ્વારા એ પ્રસ્તુત છે. આ આવૃત્તિ વિશ્વની લગભગ 100 ભાષાઓમાં પ્રકાશિત થઈ છે. જેમાં 18 અધ્યાય 700 શ્લોકોના શબ્દાર્થ, અનુવાદ અને ભાવાર્થ સમજાય એવી સરળ ભાષામાં આપવામાં આવ્યા છે.
સરદાર શોપિંગ બન્યું ખખડધજ:150 જેટલી દુકાન ધરાવતાં ભરૂચ નગર સેવા સદન હસ્તકના સરદાર શોપિંગની અવદશા
ભરૂચ નગર સેવા સદન હસ્તકનું સરદાર શોપિંગ સેન્ટર અત્યંત જર્જરિત હાલતમાં થઈ જતા વેપારીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અગાઉ અનેક વખત છતના પોપડા પડવા સહિતની ઘટનાઓ બની ચૂકી છે. હાલમાં લોખંડી પુરુષ એવા સરદાર પટેલની 150મી જયંતીની સમગ્ર દેશમાં ઉજવણી ચાલી રહીં છે.તો બીજી બાજુ સરદારના નામ સાથે જોડાયેલ ભરૂચ નગર સેવા સદનનું સરદાર શોપિંગ સેન્ટર તંત્રની બેદરકારીના કારણે બિસ્માર થઈ ગયું છે. આ શોપિંગ સેન્ટરમાં દર થોડા દિવસે સ્લેબના પોપડા પડી રહ્યા છે. શોપિંગ સેન્ટરના દાદરો પણ ખખડધજ થઈ ગયા છે.શોપિંગ સેન્ટરમાં 150થી વધુ દુકાનો છે જેમાં ધંધા રોજગાર સાથે ટ્યુશન ક્લાસિસ અને ખાનગી ઓફિસો પણ ચાલે છે. રોજના હજારો લોકોની અવરજવર થાય છે.સરદાર શોપિંગ સેન્ટરના પ્રમુખ સુરેશ પટેલે જણાવ્યું હતું કે સરદાર જયંતીની ઉજવણી થઈ રહી છે તે સારી વાત છે પણ સરદારના નામ સાથે જોડાયેલ આ શોપિંગ સેન્ટરની અવદશા જોઈ દુઃખ થાય છે. જ્યાં ત્યાં ગંદકી, જોખમી રીતે લટકા વીજ વાયરો અને દાદરો તેમજ સ્લેબ જર્જરિત થઈ ગયા છે.આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી.
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ધરાવતાં નર્મદા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવાની જવાબદારી ઝાંબાઝ પોલીસ અધિકારી વિશાખા ડબરાલ સંભાળી રહયાં છે. દેવોની ભૂમિ ઉત્તરાખંડમાં જન્મેલા અને દિલ્હીની યુનિવર્સિટીમાં અભ્યાસ કરી આઇપીએસ બનેલા વિશાખા ડબરાલ 2018ની બેચના અધિકારી છે. નર્મદા જિલ્લામાં એસપી બનતાં પહેલાં તેઓ અમદાવાદ શહેરના ઝોન–3 માં ડીસીપી તરીકે કાર્યકરત હતાં. સવાલ. આપની અત્યાર સુધીની જીવન યાત્રા અને કારકિર્દીનો મહત્વનો વળાંક શેને મોનો છે ?જવાબ. મારા પિતાજી પોલીસ વિભાગમાં હતાં. મે મારા ઘરમાં નાનપણથી જ પોલીસનો માહોલ જોયો હતો. મારા જીવનનો સારી રીતે ઉપયોગ કરી શકુ અને લોકોની સેવા કરી શકુ એ માટે પહેલાંથી જ પોલીસ વિભાગમાં જવાનો મારો નિર્ણય હતો. ન્યાયને જીવનનો આધાર બનાવીને કામ કરવા માટે મે પોલીસ અધિકારી બનવાનો નિર્ણય લીધો છે. સવાલ. આપની સંઘર્ષભરી જીવનયાત્રા કેવી રહી છે ?જવાબ.એક મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મ્યો છું અને મારેમારા માતા અને પિતાનો ખૂબ સહયોગ રહયો છે. ખાસ કરીને મારા પિતાએ પોલીસ વિભાગમાં નિસ્વાર્થ ભાવથી સેવાઓ આપી છે. તેમણે હંમેશા પોતાની ફરજને પ્રાધાન્ય આપ્યું છે અને તેઓ હંમેશા પોતાનું વિચારવાના બદલે સમાજનું ભલું થાય તેવું વિચારતા જેમાંથી મને ખૂબ પ્રેરણા મળી છે. જેથી હું પોલીસ અધિકારી બની છું કે લોકોની સેવા કરી શકું. સવાલ. સફળતા માટેનો યશ કોને આપવા માગો છો ?જવાબ.મારા માતા–પિતા, પરિવાર અને મિત્રોના સહયોગથી આજે સફળતા મળી છે. ખાસ કરીને કિરણ બેદીમાંથી મને પ્રેરણા મળી છે. સવાલ. એવી કોઈ નિષ્ફ્ળતા કે જેમાંથી તમે શીખ મેળવી હોય ?જવાબ.સપોલીસ અધિકારી બનવા માટે આપેલી પરીક્ષા પહેલાં પ્રયત્ને પાસ કરી શકી ન હતી. આ પછી સખત મહેનત કરી બીજા પ્રયાસમાં પરીક્ષામાં ઉર્તિણ થઇ ગઇ હતી. સવાલ. આપણું શું બનવાનું સ્વપ્ન હતું ? જવાબ.જીવનમાં કઇ નવું, અલગ અને રચનાત્મક કરવાની ભાવના છે. લોકોની સેવા જ મુખ્ય ધ્યેય હોવાથી પોલીસ બની છું. સવાલ. આપના નેતૃત્વની કાર્યશૈલીને કોઇ એક વાક્યમાં કહેવા માગો તો તે શું હોઇ શકે? જવાબ.સ્વતંત્ર.. સ્વતંત્ર રીતે અને પોતાની રીતે કામ કરવાવાળા અધિકારી . સવાલ. સૌથી રોચક વાત અને મોટો પડકાર શું છે?જવાબ.કેવડિયા જેવી નાની જગ્યાને આટલી સરસ રીતે વિકસિત કરી છે તે મારા માટે સૌથી રોચક બાબત છે. તમે સારી વાતને વિકસિત કરી લોકોને કેવી રીતે ફાયદો અપાવી શકો તે સૌથી મોટો પડકાર હોય છે. સવાલ. એવું ક્યુ કામ કરવા માગો છો કે જે માટે લોકો આપને યાદ કરે? જવાબ.આદિવાસી સમાજ અને પોલીસ વચ્ચે સંકલનનો અભાવ છે તે દૂર કરવા માગીશ. ખાસ કરીને આદિવાસી સમાજના યુવક અને યુવતીઓ પોલીસ વિભાગમાં ભરતી થઇને કોન્સટેબલથી લઇ આઇપીએસ સુધી પહોંચે તે માટે તમામ માર્ગદર્શન પોલીસ વિભાગ તરફથી આપવાનું આયોજન છે. આદિવાસી સમાજના યુવાઓની ગર્ભિત શકિતિઓને બહાર લાવી એક યોગ્ય માધ્યમ પુરુ પાડીશું. મઉત્તરાખંડના દહેરાદુનમાં બાળપણ વિત્યું, દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો.
સ્વજનના અવસાન, સગાઇ સારવાર નિમિત્તે નીકળેલા લોકો અટવાયા
ઇંડિગો એરલાઇન્સની ખોરવાઇ ગયેલી વિમાનસેવાના કારણે મુંબઇ - હૈદરાબાદ એરપોર્ટ પર અટવાયેલા એક પેસેન્જરે વ્યથિત સ્વરે કહ્યું હતું કે મારા પિતાના અવસાનના સમાચાર મળતા નાગપુરથી પુણે જવા નીકળ્યો અને હવે હૈદરાબાદમાં અટવાયો છું. બીજા એક પ્રવાસી દીકરાની સગાઇ માટે પુણે જતા હતા એ પણ અટવાઇ ગયા હતા. બીજી બાજું કેટલાક પ્રવાસી પોતાના સ્વજનની સારવાર માટે પુણે લઇ જઇ રહ્યા હતા તેમણે તો અન્ય મુસાફરો કરતાં વધુ કપરી સ્થિતિનો સામનો કરવો પડયો હતો.
હુમલાનો પ્રયાસ:નર્મદા જિલ્લા આપ પાર્ટીના પ્રમુખ પર બૂટલેગરે હુમલાનો પ્રયાસ કર્યો
નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાનો ભાઇ દારૂના જથ્થા સાથે ઝડપાયા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ અને આપના નેતાઓ એકબીજા પર આક્ષેપો કરી રહયાં છે. ગરમાયેલા રાજકીય માહોલ વચ્ચે નિરંજન વસાવા પર બૂટલેગરે હૂમલાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી છે. નિરંજન વસાવા રાજપીપળા જકાતનાકા પાસેથી પસાર થઇ રહયાં હતાં ત્યારે બૂટલેગરે તેમની કારને આંતરવાની કોશિશ કરી હતી. નિરંજન વસાવા સીધા રાજપીપળા પોલીસ મથકમાં પહોંચ્યા હતા અને લેખિત ફરિયાદ કરી હતી.પોલીસે પણ એમની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની જાણ થતાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, વહેલી તકે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરવામાં નહિ આવે તો એસપી કચેરીની સામે ધરણા કરવામાં આવશે. નિરંજન વસાવાએ બે દિવસ અગાઉ નિવેદન આપ્યું હતું કે રાજપીપળામાં ખુલ્લેઆમ દારૂ-ડ્રગ્સ વેચાય છે, એના કારણે ઉશ્કેરાઈને બુટલેગરોએ નિરંજન વસાવા પર રાજકીય નેતાઓના ઈશારે ભર બજારમાં હુમલો કર્યો છે.
ભરૂચ જિલ્લાના પ્રભારી સચિવશાહમીના હૂસૈનની અધ્યક્ષતામાં જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક મળી હતી. જેમાં તેમણે આંગણવાડી કેન્દ્રોમાં આવતા બાળકોને પુરતા પ્રમાણમાં પોષણયુક્ત આહાર મળી રહે તેના પર ભાર મુકયો હતો. ભરૂચ જિલ્લાના પ્રભારી સચિવ સુશ્રી શાહમીના હૂસૈનની અધ્યક્ષતામાં જિલ્લામાં ચાલીરહેલા વિવિધ માર્ગોના વિકાસ કાર્યો, બાળકો અને મહિલાઓને લગતા પોષણ પ્રોજેક્ટ, આંગણવાડી કેન્દ્રોઅને પ્રાથમિક શાળાઓના ઓરડાઓની સ્થિતિ અંગે વિગતવાર સમીક્ષા અર્થે કલેક્ટર કચેરીના વીડિયોકોન્ફરન્સ હોલ ખાતે બેઠક યોજાઈ હતી.તેમણે જિલ્લાના સંબંધિત અમલીકરણ વિભાગો દ્વારા હાથ ધરાયેલી કામગીરીનો ચિતાર મેળવ્યો હતો. ત્યારબાદ તેઓએ ખાસ કરીને ગ્રામ્ય અને શહેરી વિસ્તારના માર્ગો ટકાઉઅને ક્વોલિટી વાળા સુવ્યવસ્થિત થાય, ગ્રામ્ય વિસ્તારના માર્ગો જ્યાં ભારદારી વાહનોની અવરજવર પ્રતિબંધિત છે છતાં ભારે વાહનો પસાર થવાથી સ્થાનિક માર્ગોને થતું નુકશાન અટકાવવા યોગ્ય કાર્યવાહી થાય, નગર પાલિકા વિસ્તારમાં માર્ગોની સાફ સફાઈ નિયમિત થાય, કચરાનો યોગ્ય રીતે નિકાલ થાય,આંગણવાડી કેન્દ્રોમાં આવતા બાળકોને પુરતા પ્રમાણમાં પોષણયુક્ત આહાર મળી રહે, સરકારી ઈમારતો લોક ઉપયોગી બની રહે તે રીતે જાળવણી થાય અને દરેક કાર્ય વાસ્તવિક રૂપમાં થાય જોવા ઉપર ખાસ ભાર મૂક્યો હતો.
વેધર રિપોર્ટ:ભરૂચમાં તાપમાનનો પારો ગગડીને 17 ડિગ્રીએ પહોંચ્યો
ભરૂચ જિલ્લામાં ઠંડી અને ગરમી બન્ને ઋતુ એક સાથે અનુભવાય રહી છે. જેમાં બે દિવસથી વહેલી સવારે ઠંડી તો દિવસ દરમિયાન ગરમી અનુભવાઇ હતી. જોકે આજે લઘુત્તમ તાપમાન ફરી વધીને 17 ડિગ્રી થયું છે. જેથી ફરી ગરમીનું પ્રમાણ વધ્યું છે. જોકે વહેલી સવારે ઝાકળ પડી રહી છે. આમ દિવસ દરમિયાન જિલ્લાનું મહત્તમ તાપમાન વધીને 31 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ ઘટીને 26 થી 54 ટકા અને પવનની ગતિ માં વધારો થઈને 13 કિમી પ્રતિ કલાકની રહી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન 19 થી 20 અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી સુધી રહેવાની શક્યતા સેવાઇ રહી છે. હાલ પવનની ગતિ માં વધારો થતાં ખેડૂતોએ પવનની ગતિ ધીમી થયા બાદ દવાનો છંટકાવ કરી શકશે. જે ખેડૂતોનો કપાસ પાક તૈયાર થઈ ગયો હોય તેમને વીણી કરવા માટે સલાહ આપી છે.
ભરૂચ શહેરના શકિતનાથથી મદીનાપાર્ક સુધીના વિસ્તારમાં રહેતાં 50 હજારથી વધારે લોકોને હવે પુરતા દબાણથી પીવાનું પાણી મળી રહેશે. જે.બી. મોદી પાર્ક અને ડુંગરી વિસ્તારમાં 4 કરોડના ખર્ચથી નિર્માણ પામેલી બે ટાંકીઓ તથા પંપિંગ સ્ટેશનનું શનિવારના રોજ લોકાર્પણ કરવામાં આવશે. નવી બે ટાંકીના લોકાપર્ણ સાથે શહેરમાં પાણીની ટાંકીઓની કુલ સંખ્યા 11 થઇ જશે. શહેરની બે લાખથી વધારે વસતીને પીવાનું પાણી અમલેશ્વર બ્રાંચ કેનાલમાંથી પુરૂ પાડવામાં આવે છે. દરરોજ 45 કરોડ લિટર પાણીનું વિતરણ હાલ શહેરમાં કરવામાં આવે છે. વિતરણ વ્યવસ્થાને સુુગમ બનાવવા માટે જે.બી.મોદી પાર્ક પાસે 10 લાખ લીટર પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતાવાળી 15 મીટર ઉંચી જયારે ડુંગરી વિસ્તારમાં 10 લાખ લિટર પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતાવાળી 20 મીટર ઉંચી ટાંકી બનાવવામાં આવી છે. ટાંકીની સાથે રાઇઝિંગ મેઇન પાઇપલાઇન અને પંપિંગ સ્ટેશન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ બંને ટાંકીઓના નિર્માણ પાછળ 4 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. બંને ટાંકીઓ કાર્યાન્વિત થતાં 50 હજારથી વધારે લોકોને પુરતા દબાણથી પીવાનું પાણી મળી રહેશે. હવે શહેરમાં પાણીની ટાંકીઓની કુલ સંખ્યા 11 થઇ જશે. 15 દિવસ સુધી ટ્રાયલરન લેવામાં આવશેજે.બી.મોદી પાર્ક અને ડુંગરી પાણીની ટાંકીને શનિવારના રોજથી કાર્યાન્વિત કરાશે પણ પહેલાં 15 દિવસ ટ્રાયલ રન લેવામાં આવશે. જેમાં બંને ટાંકીઓને પાણીથી ભરીને અલગ અલગ વિસ્તારના વાલ્વ ખોલીને પાણીની વિતરણ વ્યવસ્થા જોવામાં આવશે. આ ઉપરાંત શહેરની અન્ય 9 ટાંકી પરથી આપવામાં આવતાં પાણીના સમયના આધારે નવી બનેલી બંને ટાંકીઓ પરથી કેટલા વાગ્યે પાણી આપવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવશે. ભાસ્કર નોલેજસીધા પંપિંગના બદલે હવે ટાંકીમાં પાણીનો સંગ્રહશહેરમાં ડુંગરી વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી 2021માં ધરાશાયી થઇ ગઇ હતી જયારે જે.બી.મોદી પાર્ક ખાતે નવી ટાંકી બનાવવામાં આવી છે. અત્યાર સુધી શકિતનાથથી મદીનાપાર્ક સુધીના વિસ્તારમાં સીધા પંપિંગથી પાણી આપવામાં આવતું હતું. જેના કારણે આ વિસ્તારના 50 હજાર કરતાં વધારે લોકોને પુરતા દબાણથી પાણી મળતું ન હતું. હવે અયોધ્યાનગર ફિલટરેશન પ્લાન્ટથી પાઇપલાઇન મારફતે બંને ટાંકીઓ સુધી પાણી લાવીને તેને ભરવામાં આવશે. ટાંકીમાં ભરાયેલાં પાણીનું વિતરણ કરવાથી આ વિસ્તારોમાં પુરતા દબાણથી પાણી મળી રહેશે.
વિરાર ઈમારત દુર્ઘટના પ્રકરણઃ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ગિલસન ઘોંસલવિસની ધરપકડ
મુંબઈ - વિરારમાં રમાબાઈ એપાર્ટમેન્ટ દુર્ઘટના પ્રકરણમાં ગુરુવારે મધ્યરાત્રિએ વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર ગિલસન ઘોંસલવિસની ક્રાઇમ બ્રાન્ચ-૩ ની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ઘોંસલવિસ પર ઈમારત અનધિકૃત હોવા છતાં કાર્યવાહી ન કરવાનો અને જોખમકારક હોવા છતાં તેને ખાલી ન કરવાનો આરોપ છે. ૨૬ ઓગસ્ટના રોજ, વિરાર- ઈસ્ટમાં ચાર માળની રમાબાઈ એપાર્ટમેન્ટ ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. આ અકસ્માતમાં ૧૭ લોકો મૃત્યુ પામ્યા હતા અને ૯ લોકો જખમી થયા હતા. આ ઈમારતમાં અનધિકૃત અને જોખમકારક હતી. આ કેસમાં, વિરાર પોલીસે બિલ્ડર અને જમીનમાલિક વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો અને બિલ્ડર નીતલ સાનેની ધરપકડ કરી હતી.
એનસીપીના ભૂતપૂર્વ ધારાસભ્ય કદમ સામે કોર્ટે આરોપો ઘડયા
રૃ.313 કરોડના મની લોન્ડરિંગ કેસ આરોપીઓએ નિર્દોષ હોવાની રજૂઆત કરતાં ટ્રાયલ શરૃ થવાનો માર્ગ મોકળો મુંબઈ - મુંબઈની એક ખાસ અદાલતે મહારાષ્ટ્રમાં રાજ્ય સંચાલિત કોર્પોરેશનમાંથી રૃ. ૩૦૦ કરોડથી વધુના કથિત ગેરરીતિ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં એનસીપીના ભૂતપૂર્વ ધારાસભ્ય રમેશ કદમ અને અન્ય નવ લોકો સામે આરોપો ઘડયા છે. તેઓ તત્કાલિન અધ્યક્ષ હતા.
કચ્છના છેવાડાના સરહદી મુધાન નજીકના સીમાડામાં વન વિભાગની જમીનમાં ખાનગી કંપની દ્વારા ગેરકાયદે રસ્તાઓ બનાવીને ભારે વાહનોનું પરિવહન કરવામાં આવતું હોવાની રજૂઆત સાથે આ માર્ગ બંધ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. વન વિભાગ સમક્ષ કરવામાં આવેલી રજૂઆત મુજબ લખપત તાલુકાના મુધાન ગામ નજીક ખાનગી કંપની દ્વારા વન વિભાગની જમીનમાંથી ગેરકાયદે રસ્તાઓ બનાવીને મીઠુ તેમજ અન્ય સામગ્રી ભરેલા ભારે વાહનોનું પરિવહન કરવામાં આવે છે. અગાઉ આ કંપની દ્વારા મુધાન પંચાયતની જમીન તેમજ ગૌચર ઉપરાંત ખાનગી જમીનોમાંથી પોતાના વાહનોનું પરિવહન કરવામાં આવતું હતું જે ગ્રામજનો દ્વારા અટકાવવામાં આવ્યા બાદ હવે વન વિભાગની જમીનમાંથી રસ્તા બનાવવામાં આવ્યા હોવાથી વૃક્ષોનું નિકંદન કાઢવાની સાથે વન્ય જીવોને પણ અડચણ ઉભી થઈ રહી છે. જો અનધિકૃત પરિવહન ચાલુ રહેશે તો ગાંધી ચીંધ્યા માર્ગે જવું પડશે તેવી ચીમકી મુધાનના સરપંચ સૂરજસિંહ જાડેજા તેમજ આગેવાનો દ્વારા ઉચ્ચારાઇ હતી. આ અંગે દયાપર વન વિભાગના આરએફઓ પ્રિયંકાંત આસરાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે મુધાન સરપંચની રજૂઆત બાદસ્થળ તપાસ કરતા કંપનીના જવાબદારો દ્વારા અહીંથી વાહનો પસાર કરવા માટે ઉચ્ચકક્ષાએથી મંજૂરી મેળવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે તેમના દ્વારા મંજૂરીના કોઈ પુરાવા રજૂ ન કરવામાં આવતા કાલે આ વિસ્તારમાંથી વાહનો પસાર કરવાની મનાઈ ફરમાવાઇ છે. જો કોઈ મંજૂરી મેળવી હોય તો જરૂરી આધાર પુરાવા સાથે રજૂ કરવા કંપનીને સૂચના આપી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
ખેડૂતોની અટકાયત કરાઈ:વાંઢીયામાં કામ બંધ કરાવાતાં વધુ 18 ખેડૂતોની અટકાયત
ભચાઉ તાલુકા વાંઢીયા ગામના ખેતરોમાંથી 765 kv હાઇ વોલ્ટસની અદાણી કંપનીની વીજ લાઈન પસાર થઇ રહી છે જેના પુરા વળતર માટે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. છેલ્લા 24 દિવસથી કિસાનો કામ બંધ કરાવા જાય છે જેને પોલીસ ઉઠાવી જાય છે. છેલ્લા ત્રણ દિવસમાં વધુ 51 ખેડૂતોની અટકાયત કરવા માં આવી હતી. 24 દિવસમાં 727 ધરતીપુત્રોની અટકાયત થઇ છે. ભારતીય કિસાન સંધ ભચાઉ તાલુકા પ્રમુખ દેવજી આહીરે કહ્યું હતું કે, જ્યાં સુધી કંપની ખેડૂતોને પૂરૂં વળતર નહિ આપે ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે. અમે ખેડૂત છીએ, થાકવાના નથી, અમારો હક લઈને રહેશુ. દરમિયાન ગુરુવારે અદાણીના જવાબદાર અધિકારીઓ સાથે કિસાન સંઘની મિટિંગ થવાની હતી પણ ધોરડોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતા થઇ શકી ન હતી. કંપની સાથે ખેડૂતોની લડાઈ ચાલુ રહેવાની સાથે આંદોલનને 105 દિવસ પુરા થયા હતા.
ગાગોદર કેનાલમાં નબળી કામગીરી:વારંવાર પડતા ગાબડાંથી હેરાનગતિ
રાપર તાલુકાના પલાંસવા નજીક આવેલા અમરાપર ગામ પાસેની ગાગોદર કેનાલમાં વારંવાર પડતા ગાબડાં (ભંગાણ)ને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ નબળી કામગીરી અંગે પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વેલજીભાઈ સોલંકીએ આક્રોશ વ્યક્ત કર્યો છે અને રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાને લેખિતમાં રજૂઆત કરી છે. પૂર્વ પ્રમુખ વેલજીભાઈ સોલંકીએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે કેનાલના બાંધકામમાં અત્યંત હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં આવ્યું છે, જેને તેમણે આક્રોશ સાથે ‘લોટ-પાણી-લાકડા’ જેવું ગણાવ્યું હતું. આ નબળા મટિરિયલને કારણે ગાગોદર કેનાલમાં અવારનવાર ગાબડાં પડવાના બનાવો સામે આવી રહ્યા છે, જેનાથી ખેડૂતોને સિંચાઈના પાણીની સમસ્યા સર્જાય છે. સોલંકીએ વધુમાં ઉમેર્યું હતું કે જ્યારે કેનાલની કામગીરીમાં ખામી અને ગાબડાં અંગે ખેડૂતો દ્વારા કેનાલના એન્જિનિયરોને ફરિયાદ કરવામાં આવે છે, ત્યારે તેઓ ખેડૂતોને સંતોષકારક જવાબ આપવાને બદલે ઉડાઉ જવાબો આપીને વાત ટાળી દે છે. સ્થાનિક ખેડૂતોની માંગ છે કે આ ગંભીર બાબતની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને કેનાલના નબળા બાંધકામ માટે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ખેડૂતોને નિયમિત રીતે પાણી મળી શકે.
કતલખાના ખાતે LCBના દરોડા:અબડાસાના વિંઝાણના રહેણાંક મકાનમાં ચાલતું કતલખાનું ઝડપાયું
અબડાસા તાલુકાના વિંઝાણ ગામના રહેણાંક મકાનમાં ચાલતા કતલખાના પર એલસીબીએ દરોડો પાડી કતલ માટે રાખેલ જીવિત ગાય અને ગૌવંશ સહીત ચાર જીવને બચાવી લીધા છે. આરોપીના મકાનમાં રાખેલ ગૌવંશના માંસ સહીત હથીયારો કબ્જે કરી કોઠારા પોલીસ મથકે જાણવા જોગ દાખલ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એચ.આર.જેઠીની સુચનાથી ટીમ કોઠારા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.એ દરમિયાન બાતમી મળી હતી કે,અબડાસા તાલુકાના વિંઝાણ ગામમાં રહેતા અલીઅકબર ઉર્ફે ઇકબાલ જાકબ હિંગોરાએ પોતાના મકાનમાં ગૌ વંશનું માંસ વેચાણ માટે રાખેલું છે.તેમજ મકાનની પાછળ બનાવેલા પતરાના સેડમાં ગાય અને આખલા કતલ કરવા માટે રાખેલા છે. બાતમીના આધારે સ્થાનિકે દરોડો પાડતા આરોપીના મકાનમાં રાખેલ ડીપ ફ્રીઝમાંથી 19 કિલો ગૌ વંશનું માંસ મળી આવ્યું હતું જે વેચાણ માટે રાખેલ હતું.આ ઉપરાંત સ્થળ પરથી કતલ કરવા માટે ઉપયોગમાં લેવાયેલા ૩ કોયતા અને ૩ છરી પણ મળી આવ્યા હતા. પોલીસે આરોપીના મકાનની પાછળ તપાસ કરતા પતરાના સેડમાં કતલ કરવા માટે રાખેલ એક જીવિત ગાય,2 આખલા અને 1 બળદ મળી આવ્યા હતા.જેને કતલ થતા પહેલા બચાવી લઇ પાંજરાપોળ ખાતે મોકલાવી દેવામાં આવ્યા છે.હાલ સમગ્ર મામલે કોઠારા પોલીસ મથકે જાણવા જોગ દાખલ કરી માંસના જથ્થાને એફએસએલ તપાસ માટે મોકલવામાં આવ્યો છે.
ઠગ ઝડપાયો:ફેસબુકમાં સસ્તા સોનાની લાલચ આપી ઠગાઈનો પ્રયાસ કરનાર ઝડપાયો
શહેરના ચીટરો સસ્તા સોનાના નામે લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવી ચૂક્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. તેવામાં ફેસબુક પર લોભામણી જાહેરાત કરી ઠગાઈનો પ્રયાસ કરનાર ઈસમ એલસીબીને હાથ લાગ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, એલસીબીની ટીમ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. એ દરમિયાન બાતમી મળી હતી કે કોડકી રોડ પર બરફના કારખાના સામે એક ઈસમ હાજર છે અને તે હાલે પોતાના મોબાઈલ ફોનમાં સોશિયલ મીડિયામાં ખોટી આઈડી બનાવી બજાર ભાવ કરતા સસ્તામાં સોનુ આપવાની જાહેરાત પોસ્ટ કરી લોકો સાથે ઠગાઈ કરવાની કોશિશમાં છે. બાતમીના આધારે પોલીસે સ્થાનિકે તપાસ કરતા રહીમનનગરનો આરોપી સાહિલ કાસમ ફકીર હાજર મળી આવ્યો હતો. જેની પાસે રહેલા મોબાઇલમાં તપાસ કરતા રાજવર્ધન પટેલ નામની ફેસબુક આઈડી ચાલુ જોવા મળી હતી. જેમાં બજાર ભાવ કરતા ઓછા ભાવે સોનુ આપવાની જાહેરાત કરેલી હતી. પોલીસે આરોપીની પૂછપરછ કરતા પોતે સોશિયલ મીડિયામાં લોભામણી જાહેરાત કરી લોકોને વિશ્વાસમાં લીધા બાદ ઠગાઈ કરી રૂપિયા પડાવતો હોવાની હકીકત જણાવી હતી. એલસીબીએ આરોપીને હસ્તગત કરી એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.
નવી ટાઉન વેન્ડિંગ કમિટીનું ગઠન થાય એ પહેલા કાયદાની જોગવાઈ મુજબની પ્રક્રિયા રૂપે ફેરિયાઓનો સરવે અને વેન્ડિંગ સર્ટિફિકેટ પૂરાં પાડવા ગત સમિતિના સભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ભુજની ટાઉન વેન્ડિંગ કમિટીનો કાર્યકાળ ગત 2024ના નવેમ્બરના પૂર્ણ થઇ ગયો છે. ગુજરાત સ્ટ્રીટ વેન્ડર્સ રૂલ્સ 2016ના સેકશન 7(2)માં જણાવ્યા મુજબ વર્તમાન સમિતિનો કાર્યકાળ પૂર્ણ થાય એ પહેલાં જ કલેક્ટર દ્વારા નવી સમિતિ ગઠન કરવાની પ્રક્રિયા કરી લેવાની હોય છે. પરંતુ જૂની ટાઉન વેન્ડિંગ કમિટીનો કાર્યકાળ 1 વર્ષ પહેલાં જ પૂર્ણ થઇ ગયો છે અને હજી સુધી નવી સમિતિ માટેની પ્રક્રિયા હાથ ધરાઈ નથી. ‘સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ, 2014ના ચેપ્ટર 3ના સેકશન 3(1)માં જણાવ્યા પ્રમાણે કમ સે કમ 5 વર્ષમાં 1 વખત નવા ઉમેરાયેલા ફેરિયાઓનો સરવે કરી તેમને શેરી ફેરિયા તરીકેના ઓળખ કાર્ડ અને વેન્ડિંગ સર્ટિફિકેટ આપવાના હોય છે. તેથી નિયમાનુસાર ભુજના જે ફેરિયાઓનો સરવે કરવાનો રહી ગયો છે તેવાનો સરવે તાત્કાલિક કરાય. તેમજ સરવે થયેલા દરેક ફેરિયાઓને તાત્કાલિક ધોરણે ઓળખપત્ર અને વેન્ડિંગ સર્ટિફિકેટ આપવાની પ્રક્રિયા હાથ ધરાય એ અનિવાર્ય છે.’ પત્રમાં જણાવાયું કે; ટીવીસીની નવી સમિતિ માટે યોગ્ય ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી શકે તેમજ દરેક શેરી ફેરિયાઓ પોતાનો મત આપીને ચૂંટણીમાં સહભાગી બની શકે એ માટે ટીવીસીની નવી સમિતિના ગઠનની પ્રક્રિયા પહેલાં કાયદાની જોગવાઈ પ્રમાણે પ્રક્રિયા કરવાની રહે છે. કાયદાકીય જોગવાઈઓનું અમલીકરણ કરવા માટે સૌપ્રથમ જૂના અને નવા ફેરિયાઓના લીસ્ટને SIR જેવી પ્રક્રિયા દ્વારા અપડેટ કરવામાં આવે, જેમનો સરવે થઇ ગયો છે એવા ફેરીયાઓને વેન્ડિંગ પ્રમાણપત્ર આપવામાં આવે, નવા અને બાકી રહી ગયેલા ફેરિયાઓની નોંધણી બાબત જાહેરાત પ્રસિદ્ધ કરી નગરપાલિકાની કચેરી ખાતે અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા ફેરીયાઓને માહિતગાર કરવામાં આવે એવી ખાસ રજૂઆત કરવામાં આવી છે. કાયદાકીય પ્રક્રિયા પૂરી કર્યવા વિના જોગવાઈનો ભંગ થશેગત ટીવીસીનાં સભ્ય અને શેરી ફેરીયા રાજેશ દાવડાએ લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે, નવી ટાઉન વેન્ડિંગ કમિટીના ગઠનની પ્રક્રિયા હાથ ધરાય એ પહેલાં ઉપરોક્ત પ્રક્રિયાઓ કાયદાકીય જોગવાઈઓ પ્રમાણે પૂર્ણ કરવામાં આવે એ અનિવાર્ય છે. આગામી 2 મહિનામાં દરેક ફેરિયાઓનો સરવે પૂર્ણ થાય અને ત્યાર બાદ સર્વાનુમતે ચૂંટણીનું આયોજન કરીને નવી ટાઉન વેન્ડિંગ કમિટી સત્વરે ગઠિત થાય એ હવે અનિવાર્ય છે. જો આ પ્રક્રિયા કર્યા વિના ટીવીસીના ગઠનની પ્રક્રિયા થશે તો એ કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન થયું ગણાશે.
વિદ્યાર્થીઓ મૂંઝાયા:ડિપ્લોમા એન્જી.ની પરીક્ષામાં એકના બદલે બીજા પ્રશ્ન પૂછાયા !
શહેરમાં આવેલી જીટીયુ હસ્તકની પોલિટેક્નિક કોલેજમાં હાલ પરીક્ષા ચાલી રહી છે.જેમાં ગુરુવારે સેમેસ્ટર 3 ના પ્રથમ પેપરમાં વિદ્યાર્થીઓને એકના બદલે બીજા પ્રશ્ન સાથેનું પેપર અપાયું હતુ. ઇલેક્ટ્રિકલના પેપરમાં મિકેનીકલના પ્રશ્નો આવી જતા પરીક્ષા આપવા બેઠેલા વિદ્યાર્થીઓમાં ઉચાટ ફેલાયો હતો.જોકે મામલો ધ્યાને આવતા કોલેજ દ્વારા તાત્કાલીક વિદ્યાર્થીઓને યોગ્ય પ્રશ્નપત્ર પહોંચતા કરવામાં આવ્યા હતા. આ બાબતે જાણકાર વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, ગુરુવારથી ડિપ્લોમા એન્જીનીયરીંગમાં ત્રીજા સેમેસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ છે જેમાં પ્રથમ દિવસે ઈલેક્ટ્રિકલમાં ડીસી અને ટ્રાન્સફોર્મરનું પેપર હતું જેમાં પ્રથમ પેજ પર વિષયના પ્રશ્નો હતા જોકે પેજ પલટાવતા બીજા અને ત્રીજા પેજ પર મિકેનીકલ વિષયના પ્રશ્નો હતા પેપરના પેજ પર કોડ નંબર પણ અલગ જોવા મળ્યા હતા. જેથી વિદ્યાર્થીઓ મુંઝાયા અને હાજર સ્ટાફનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. જેથી ક્ષતી સુધારી વિદ્યાર્થીઓને વિષય અનુરૂપ પેપર આપવામાં આવ્યું હતું. આ બાબતે કૉલેજના પ્રિન્સિપાલનો સંપર્ક સાધતા તેમણે ઘટના બની હોવાની વાતને સમર્થન આપતા જણાવ્યું કે, પ્રિન્ટિંગ મિસ્ટેક હોવાનું સામે આવ્યું છે અને વિદ્યાર્થીઓને તાત્કાલિક વિષયને અનુરૂપ પ્રશ્નપત્ર આપી દેવાયા હતા.
સિટી એન્કર:કલેક્ટરને ઓપરેશન સિંદૂરમાં સહયોગ બદલ ‘કોમોન્ડેશન ડિસ્ક’ એનાયત
સરહદી મહત્વ ધરાવતા કચ્છ જિલ્લાની મુલાકાત દરમિયાન ઇન્ડિયન એરફોર્સના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર માર્શલ નગેશ કપૂરે ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે કચ્છના કલેક્ટરને ઓપરેશન સિંદૂર દરમિયાન અસાધારણ સહયોગ અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજ નિષ્ઠાને બિરદાવતા સન્માન સાથે ‘સ્પેશિયલ કોમોન્ડેશન ડિસ્ક’ એનાયત કરાઈ હતી. ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છમાં બ્લેકઆઉટ અમલ, લોજિસ્ટિક સપોર્ટ, નાગરિક સુવિધાઓનું સંકલન, ઇમરજન્સી સહાય અને વાયુસેનાને જરૂરી સહયોગ પહોંચાડવામાં કલેક્ટર આનંદ પટેલની આગેવાનીમાં કચ્છ ટીમે ઝડપી અને અસરકારક કામગીરી કરી હતી. આ સંકલન નલિયા અને ભુજ એરફોર્સ સ્ટેશન સાથે કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, ઓપરેશન સિંદૂર દરમિયાન ટીમ કચ્છના યોગદાનને અગાઉ ઇન્ડિયન આર્મી અને બીએસએફ દ્વારા પણ બિરદાવવામાં આવ્યું છે. તેમની મુલાકાત દરમિયાન તેમણે જગુઆર ફાઇટર વિમાનમા ઉડાન ભરી હતી. બાદમાં એરમેન અને અધિકારીઓ સાથે મુલાકાત કરી અને દેશ સામે ઉભા થતા નવા યુગના ખતરાઓ અંગે ચર્ચા કરી હતી. જેમાં સાયબર સુરક્ષા અને તેને લગતી તૈયારીના મહત્વ પર ભાર મૂક્યો હતો સાથે જ તેમણે એરફોર્સ સ્ટેશન પર ચાલી રહેલા તમામ માળખાગત પ્રોજેક્ટ્સની પણ સમીક્ષા કરી હતી. ભુજ સ્ટેશન રણ અને સરહદી વિસ્તારને કારણે રણનીતિક રીતે ખૂબ મહત્વ ધરાવે છે. જેની દૃષ્ટિએ તેમની આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં એર માર્શલ કપૂરે નલિયા એરફોર્સ સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી, જેના ભાગરૂપે તેઓ સરહદી એરસ્ટેશનોની તૈયારીઓનું સમીક્ષા કરી રહ્યા છે. ભાસ્કર ઈનસાઈજગુઆર : ભારતીય વાયુસેનાનું સ્ટ્રાઇક વર્કહોર્સજગુઆર IB જેને શમશેર (ન્યાયની તલવાર) કહે છે તે ભારતીય વાયુસેનામાં ઉપયોગમાં લેવાતું બે-સીટ ટ્રેનર વર્ઝન છે, જે પાઇલટ્સને સ્ટ્રાઈક મિશન, લો-લેવલ ફ્લાઇંગ અને કોમ્બેટ ઓપરેશન્સ માટે તૈયાર કરવા માટે ખાસ બનાવવામાં આવ્યું છે. આ વિમાને ફ્રન્ટ સીટમાં ટ્રેઇની પાઇલટ અને પાછળના કોકપિટમાં ઈન્સ્ટ્રક્ટર સાથે ઉડાન ભરવામાં આવતી હોય છે, જેથી વાસ્તવિક મિશન જેવી પરિસ્થિતિમાં તાલીમ આપી શકાય.ભારત આ વિમાનનો મુખ્ય ઉપયોગ પશ્ચિમ સરહદ (ખાસ કરીને કચ્છ, રાજસ્થાન અને પંજાબ ક્ષેત્ર)માં કરે છે કારણ કે અહીં રણ અને ખુલ્લા ક્ષેત્રીય લડાઈ માટે તે અત્યંત અસરકારક છે. જગુઆરને IAFમાં 1970ના દાયકામાં સામેલ કરાયો હતો. બાદમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા અન્ય લાઇસન્સ-નિર્મિત કરવામાં આવ્યા હતા.IAF જગુઆર હવે જલ્દી નિવૃત્તિ તરફ આગળ વધી રહ્યું છે. IAF તેનો રિપ્લેસમેન્ટ તેજસ એમકે-2, રફાળને એમકા પ્રોજેક્ટથી કરશે.
સેમિનાર:એઆઇ CAનો 50% સમય બચાવે, પણ ડેટા હેલુસિનેશન ખતરો
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આગમનને પગલે અન્ય ક્ષેત્રોની જેમ ચાર્ટર્ડ એકાઉન્ટન્સીના ક્ષેત્રે પણ ક્રાંતિકારી ફેરફારો આવી રહ્યાં છે. આ પરિવર્તનોથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ પરિચિત થાય અને એ મુદ્દે ચર્ચા કરી શકે તે માટે બે દિવસીય એઆઇ ઇનોવેશન સમિટ, ગુજરાતનો પ્રારંભ થયો હતો. આ સમિટમાં રિજ્યોનલ કાઉન્સિલ મેમ્બર સીએ વિશાલ દોશીએ જણાવ્યું હતું કે, એઆઇ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સનો 50 ટકા જેટલો સમય બચાવે છે પણ તે કેસ મુજબ જુદો જુદો હોઇ શકે છે. જોકે બીજી તરફ ખોટા કેસ લો (કાયદા)ઓ પણ એઆઇ આપી રહ્યાં છે. એટલે કે ડેટા હેલુસિનેશનલ સૌથી મોટો ખતરો છે. સૌથી વધુ ઉપયોગી બાબત તો એઆઇ ડેટા આપી શકે તેમ છે. એક્સેલ ટૂલ કે પ્રોમ્પ્ટ આપતાં તે શક્ય બને છે. કોમ્પ્લાયન્સમાં એક્યુરસી અને સ્પીડ વધી છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે હવે એવા સોફ્ટવેર ઉપલબ્ધ બન્યાં છે જે નોટિસને ટ્રેક રીને પોર્ટલમાંથી જ ડેટા લઇ લે છે એટલું જ નહીં ડેટા પણ સોફ્ટવેર બનાવી દે છે. પણ ક્લાયન્ટ સર્વિસ કોમ્પ્લાયન્સ ઝડપી અને સારું થઇ રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, એઆઇ માનવી(સીએ)ને રિપ્લેસ કરી શકશે નહીં, કારણ કે એઆઇ દ્વારા પરિણામ મળ્યા બાદ પણ તે સાચું છે કે ખોટું તેની ખરાઇ તો કરવી જ પડે તેમ હોય છે. એઆઇ પરિણામ આપે છે પણ નિર્ણાયક(ફાઇનલ રિઝલ્ટ) પરિણામો નહીં. આ સમિટમાં ગુજરાત ભરના 51 શહેરોમાંથી 800સીએએ હાજરી આપી હતી.. આ ટોપિક્સ પર ચર્ચાઓ 1 ઇન્ટેલિજન્સ ડિસિઝન સિસ્ટમ્સ ફોર સ્ટ્રેટેજિક ફાઇનાન્સ મેનેજમેન્ટ 2 ઇન્ટેલિજન્ટ પ્રોફેશન- નેવિગેટિંગ ધ ફ્યુચર વીથ એઆઇ 3 એઆઇ હલુસિનેશન - વ્હાય એન્ડ હાઉ વિષય 4 સ્માર્ટ પ્રેક્ટિસ ઇન્ટિગ્રેટ એઆઇ સ્કીલ્સ એન્ડ કલાઉડ ઓટોમેશન 5 એઆઇ નેવિગેટિંગ એથિક્સ, બાયસ એન્ડ કોમ્પ્લાયન્સ ઇન ફાઇનાન્સિય પ્રેક્ટિસ. લાઇસન્સ્ડ વર્ઝન વાપરવાનો આગ્રહઆ કોન્ફરન્સમાં સીએને લાઇસન્સ્ડ વર્ઝન વાપરવાનો આગ્રહ કરાયો હતો. આઇસીએઆઇ વડોદરાના ચેરમેન સીએ ધ્રુવિક પરીખે જણાવ્યું કે, કોન્ફરન્સની સાથે એઆઇના ઉપયોગો વિશેની એક હેકાથોનની ગ્રાન્ડ ફિનાલે પણ યોજાઇ રહી છે. આગામી સમયમાં સીએ માટે એઆઇ અનિવાર્ય થવાનું છે. એઆઇના પ્રોમ્પ્ટ કેવી રીતે લખવું તેના વિશે પણ સેશન યોજાયું હતું. સીએ ઇન્ટર્નશિપ કરનારાઓની માંગ વધશેઅત્યારે પણ સીએ ઇન્ટર્નશિપ કરનારાઓની માગમાં વધારો થઇ રહ્યો છે. કારણ કે બિઝનેસ વધી રહ્યો છે, જેમાં સીએની માગ પણ વધી છે.. હવે હજી પણ સીએ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થશે. સીએ માટે 3 દિવસનો સર્ટિફિકેટ કોર્સ 32 હજાર સીએએ કર્યો છે તેમ રિજ્યોનલ કાઉન્સિલ મેમ્બર સીએ રિકિન પટેલે જણાવ્યું હતું.
આર્ટ એક્ઝિબિશન:રંગીન દોરાઓના તાના-બાના વડે કાપડ પર પેન્ટિંગ્સને જીવંત કર્યાં
ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટસ ખાતે નસરિન મહંમદી સ્કોલરશિપ અંતર્ગત એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનમાં પેન્ટિંગ વિભાગના 75 જેટલા વિદ્યાર્થીઓના 500થી વધુ પેન્ટિંગ્સ ડિસ્પ્લેમાં મૂકાયા હતા. જેમાં રંગીન દોરાના તાના-બાના વડે કાપડ પર પેન્ટિંગ્સ અને હોસ્ટેલ જીવનને એક્રેલિક-ચારકોલથી જીવંત કર્યાં હતાં. આ વિશે પેન્ટિંગ વિભાગના આસિ. પ્રોફેસર અરવિંદ સુથારે જણાવ્યું હતું કે, ફાઇન આર્ટસ ફેકલ્ટીના પેન્ટિંગ વિભાગ દ્વારા આ દર વર્ષે સ્કોલરશિપ અંતર્ગત પ્રદર્શન યોજાય છે. જેમાં થર્ડ અને ફોર્થ યર તથા માસ્ટર્સના વિદ્યાર્થીઓ તેમના વર્ષ દરમિયાનના શ્રેષ્ઠ કામોની પ્રસ્તુતિ કરતાં હોય છે. જે માટે તેઓ એક વર્ષથી મહેનત કરતા હોય છે. આ એક્ઝિબિશન નિહાળવા માટે વડોદરાના અગ્રણી કલાકારો ઉપરાંત કલાપ્રેમીઓ હાજર રહ્યાં હતા. એક્ઝિબિશનમાં ચારકોલ, પેન્સિલ, ગ્રેફાઇટ, ઓઇલ ઓન કેન્વાસ, એક્રેલિક ઓન કેન્વાસ, વોટર કલર અને મિક્સ મિડિયાના પેન્ટિંગ્સ મૂકાયા હતા. આ સ્કોલરશિપ અંતર્ગત એવોર્ડ થર્ડ યરના સાંઇ સાત્વિકને, ફોર્થ યર બેચલરના પ્રતીક કુરકુટિયા અને માસ્ટર્સની વિદ્યાર્થિની નંદિની પટેલને એનાયત કરવામાં આવ્યાં હતા.
મ્યુઝીકલ ઈવેન્ટ:સંગીત સંધ્યામાં ગાયન-વાદન અને નૃત્યની ત્રિવેણી
શહેરની યોગ નિકેતન સંસ્થાની દ્વારા યોગનિકેતન સંગીત અકાદમી દ્વારા સુગમ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંગીત સંધ્યામાં 44 સંગીતકારો-ગાયકોએ ભાગ લીધો હતો. સુગમ સંગીત સંધ્યામાં જેમાં વાંસળી, તબલા અને કી બોર્ડ દ્વારા સંગીત પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાગ બિલાવલ, રાગ કલ્યાણ, રાગ આશ્રય અને વૈભવ સહિતના વિવિધ રાગો અને 60 વર્ષ જૂના 20 બોલિવૂડ ગીતો ગવાયા હતા. આ સંગીત સંધ્યામાં ગાયન-વાદન અને નૃત્યનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો. આ સંગીત અકાદમીની 44મી બેચ હતી.
પાઇલટ્સ અને ક્રૂ-મેમ્બર્સની અછતને કારણે દેશની સૌથી મોટી એરલાઇનની કટોકટીનો આજે ચોથો દિવસ છે, ત્યારે ગઈકાલે (5 ડિસેમ્બરે) ઇન્ડિગો એરલાઈન્સના CEO પીટર એલ્બર્સે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી મુસાફરોની માફી માગતા જણાવ્યું હતું કે, 15 ડિસે. સુધીમાં જેનું બુકિંગ છે તેણે હાલાકી ભોગવવી પડી શકે છે. જોકે, ગઈકાલે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર 155 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. ત્યારે આજે પણ ઇન્ડિગોની ફ્લાઈટ્સ કેન્સલ થઈ શકે છે. ઇન્ડિગો ચોર હૈ, ઇન્ડિગો મુર્દાબાદના નારા લાગ્યાઉલ્લેખનીય છે કે, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ એરપોર્ટ પરથી ફ્લાઈટ્ કેન્સલ થતાં પેસેન્જર્સમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને અફરાતફરી મચી ગઈ હતી. તો બીજી તરફ અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો ચોર હૈ, ઇન્ડિગો મુર્દાબાદના નારા પણ લાગ્યા હતા. એક યુવતીએ જણાવ્યું હતું કે, ઇન્ડિગો ફ્લાઈટમાંથી 'કચરાની જેમ સામાન ફેંકે છે, અંદરની હાલત ખરાબ, વૃદ્ધોને વ્હીલચેર પણ મળતી નથી'. એર ઇન્ડિયાનાં ભાડાંમાં ચાર ગણો વધારો થયોતો બીજી તરફ ઇન્ડિગો ઇમર્જન્સીને કારણે કોઈએ હનિમૂનના પ્લાન પડતા મૂકવા પડ્યા હતા તો કોઈ વર-વધૂ પોતાના જ લગ્નના રિસેપ્શનમાં પહોંચી શક્યાં નહોતા. એક તરફ ઈન્ડિગોની ફ્લાઈટ્સ ધડાધડ રદ થઈ રહી હતી, તેવામાં એર ઇન્ડિયાનાં ભાડાંમાં ચાર ગણો વધારો થયો હતો. આ દરમિયાન મુસાફરોની ટિકિટ કેન્સલની સાથે ઇન્ડિગો એરલાઈન્સે બીજી એક મોટી ભૂલ કરી હતી. જેમાં 4 ડિસેમ્બરની ફ્લાઈટના જેટલા પણ પેસેન્જર હતા તે બધાના લગેજ 5 ડિસેમ્બરે પણ પરત આપવામાં આવ્યા નહોતા. પેસેન્જરનો સામાન પણ પરત કરવામાં આવ્યો નહીં4 ડિસેમ્બરના જેટલા પેસેન્જર છે તેમની ફ્લાઈટ ટેક-ઓફ થઈ ગઈ હતી, પરંતુ તેમનો સામાન અમદાવાદ એરપોર્ટ પર જ હતો. 5 ડિસેમ્બરના પેસેન્જરનો સામાન પણ પરત કરવામાં આવ્યો નહોતો. એક મુસાફરે એવું પણ જણાવ્યું હતું કે, 5 ડિસેમ્બરના પેસેન્જરનો સામાન 4 ડિસેમ્બરની જે ફ્લાઈટ ગોવા ગઈ હતી એમાં જતો રહ્યો હોય એવું લાગી રહ્યું છે. લગેજને લઈને પણ મુસાફરો હોબાળો મચાવ્યો હતો. ફ્લાઈટ કેન્સલ થતાં અમદાવાદથી દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે પશ્ચિમ રેલવે દ્વારા હવે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદથી દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. સાબરમતીથી દિલ્હી સુધી આ ટ્રેન દોડાવવામાં આવશે. ટ્રેન નં. 09497/09498: સાબરમતીથી દિલ્હી જંક્શન, સુપરફાસ્ટ સ્પેશિયલ (4 ટ્રિપ્સ) રસ્તામાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ જંકશન, અજમેર, જયપુર, અલવર, રેવાડી, ગુડગાંવ અને દિલ્હી કેન્ટ ખાતે રોકાશે. ટ્રેનમાં એસી 3-ટાયર કોચ હશે. આ ટ્રેન કુલ 925 કિમીનું અંતર કાપે છે, જેમાં મુસાફરીનો સમય આશરે 4:20 કલાક (સાબરમતી-દિલ્હી) અને 3:20 કલાક (દિલ્હી-સાબરમતી)નો છે. ટ્રેન નંબર 09497 માટે બુકિંગ 6 ડિસેમ્બર 2025થી બધા PRS કાઉન્ટરો અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. દેશભરની 37 ટ્રેનોમાં 116 વધારાના કોચ લગાવાયાભારતીય રેલવેએ દેશભરમાં 37 ટ્રેનોમાં વધારાના કોચ દોડાવવાનો નિર્ણય કર્યો છે. ભારતીય રેલવે દ્વારા મુસાફરોની યાત્રાને સરળ બનાવવા માટે 37 ટ્રેનોમાં 116 વધારાના કોચ તૈનાત કરવામાં આવ્યા છે. જે દેશભરમાં 114થી વધુ ટ્રિપ્સનું સંચાલન કરે છે. ઈન્ડિગોની ફ્લાઇટ રદ થયા પછી મુસાફરોની માગમાં વધારો થવા વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે.
રવિ સોમવારે થશે હેરતઅંગેજ હવાઇ કરતબો:એરોબેટિક શો કરતી દુનિયાની એકમાત્ર ટીમના હેલિકોપ્ટરો સ્વદેશી
ભારતીય વાયુસેનાની હેલિકોપ્ટર ટીમ સારંગ દ્વારા આગામી 7મી ડિસેમ્બર, રવિવાર અને સોમવારે બે દિવસ અંકલેશ્વર એરસ્ટ્રીપ ખાતે હેલિકોપ્ટરથી એરોબેટિક શો યોજાશે. આ ટીમના ટીમ લીડર, સિનિયર ટેક્નિકલ એન્જિનિયર અને કમેન્ટેટરની ટીમ વડોદરાના દરજીપુરા એરફોર્સ સ્ટેશન આવી હતી. તેમણે સારંગ ટીમ વિશે કેટલીક રસપ્રદ વાત કરી હતી. આ ટીમ અંકલેશ્વરમાં 20થી 22 મિનિટમાં ડાયમંડ, વાઇન ગ્લાસ, ઇન્ડિયા સહિતના વિવિધ ફોર્મેશન રજૂ કરશે. દરજીપુરા એરફોર્સ સ્ટેશન ખાતે આ સારંગ ટીમના ટીમ લીડર અભિજિત કુમારે જણાવ્યું હતું કે, સારંગ ટીમ દુનિયાની એક માત્ર ટીમ જે હેલિકોપ્ટરથી હેરતઅંગેજ પ્રદર્શનની પ્રસ્તુતિ કરે છે. યુવાઓ સંરક્ષણ-વાયુસેનામાં જોડાય તે હેતુથી આ પ્રસ્તુતિ કરવામાં આવે છે. આ ફોર્મેશનમાં એક ફોર્મેશન એવું છે કે જેમાં 150 કિમીની ઝડપે આવતાં હેલિકોપ્ટર્સ એકબીજાની સાવ નજીકથી પસાર થતાં હોય છે. અમારી ટીમ શ્રીલંકા, રશિયા, સિંગાપોર, મોરેશિયસ, જર્મની અને ચિલિમાં પણ ડિસપ્લે કરી ચૂકી છે. આ પ્રસંગે તેમની સાથે સિનિયર ટેક્નિકલ એન્જિનિયર પ્રિયાંશુ મુખરજી અને ડિસ્પ્લે ટીમ કમેન્ટ્રી માટે એર સ્ક્વોન્ડ્રન પલ્લવી સાંગવાન પણ જોડાયા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ દિલધડક હેલિકોપ્ટર નિદર્શનમાં સંપૂર્ણ સ્વદેશી હિન્દુસ્તાન એરોનોટિક્સ દ્વારા નિર્મિત ધ્રુવ હેલિકોપ્ટર્સનો ઉપયોગ થાય છે.ટીમ સાંરગ અગાઉ પણ ગુજરાતના ભુજ અને જામનગર સહિતના શહેરોમાં આ એરોબેટિક શો કરી ચૂકી છે તેમ ટીમના સભ્યોએ જણાવ્યું હતું. આ ટીમમાં જોડાવા માટે આકરી કસોટી હોય છેસાંરગ ટીમના ટીમ લીડર અભિજિત કુમારે કહ્યું કે, ટીમ સારંગમાં જોડાવા માટે આકરી કસોટીમાંથી ઉમેદવારોએ પસાર થવાનું હોય છે. કારણ કે આ એક જોખમભર્યું ઉડ્ડયન છે. અમે વોલેન્ટિયર્સ જોડાય તેવું ઇચ્છીએ છીએ. ઉમેદવારમાં ટીમવર્ક અને પ્રોફેશનાલિઝમ તથા તેનો એટિટ્યુડ કેવો છે. તેની ચકાસણી થાય છે. અમે આ ડિસ્પ્લે પહેલા તેની 3 દિવસથી પ્રેક્ટિસ કરી રહ્યાં છીએ. કરતબના નિદર્શન અગાઉ મન ખૂબ જ શાંત રાખવું પડે છે અને ટીમના સભ્યોએ એક બીજા પર અને હેલિકોપ્ટરો પર સંપૂર્ણ ભરોસો રાખવો પડે છે.
જીવલેણ અકસ્માત સર્જાયો:સોમા તળાવ ચોકડી પાસે રિક્ષામાં ગાય ભટકાઈ, ચાલક ઇજાગ્રસ્ત,ગાયનું મોત
સોમા તળાવ પાસે રિક્ષા ચાલકની આડે ગાય આવી જતા રિક્ષા ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જોકે આ ઘટનામાં ગાયનું ઘટના સ્થળે મોત થયું હતું. રિક્ષા ચાલક ઈજાગ્રસ્ત થતાં નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. શહેરમાં છેલ્લા 6 મહિનામાં 5 થી વધારે એવી ઘટનાઓ બની ચૂકી છે. જેમાં ગાય વાહન ચાલકને આડે આવતા વાહન ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોય. ગત મહિને ગાય આડે આવતા એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જોકે શુક્રવારે સવારે વિપરીત ઘટના બની હતી. સચિન કહાર નામનો રિક્ષા ચાલક પેસેન્જર લઈને કપૂરાઈ ચોકડીથી સોમા તળાવ કાન્હા હાઈટ્સ વાળા રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક તેની રિક્ષાને આડે ડિવાઈડર કૂદીને ગાય આવી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે સચિનને ઈજા પહોંચી હતી. જોકે ઘટનામાં ગાયનું ઘટના સ્થળે જ મોત થઈ ચૂક્યું હતું. અકસ્માતને પગલે આસપાસના રહીશો અને સ્થાનિકો દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે,પાલિકાનો ઢોર પાર્ટી વિભાગ અવાર-નવાર દાવા કરતું આવ્યું છે કે, તેઓ શહેરમાં કામગીરી કરે છે.જોકે રાત્રી અને વહેલી સવારે શહેરના જાહેર માર્ગો પર રખડતી ગાયો જોવા મળે જ છે. ભાસ્કર ફર્સ્ટ પર્સનઅચાનક ડિવાઈડર કૂદીને ગાય રોડ પર આવી ગઈસવારે હું કપુરાઈ ચોકડીથી સોમા તળાવ તરફ જઈ રહ્યો હતો ત્યારે મારી રીક્ષામાં 2 પેસેન્જ પણ હતા. ત્યારે અચાનક ડિવાઈડર કૂદીને ગાય મારી રીક્ષાની આડે આવી જતા મે એકાએક બ્રેક લગાવી દીધી હતી. ઘટનાને કારણે હાથ-પગમાં વાગ્યું છે. ઘણા સમયથી જોઈએ છે કે ગાયના કારણે અકસ્માત થાય છે અને તેના લીધે જીવ જાય છે. હમણા મને કંઈ થયું હોત તો જવાબદારી કોની? (રિક્ષા ચાલક સચિન કહાર સાથે વાતચીત અનુસાર)
ધમકી આપી:ગાંજો અહીંયાં જ વેચીશ, પોલીસને ભરણ આપું છું,કહી મહિલાની ધમકી
કારેલીબાગ ઈન્દિરાનગર બ્રિજ પાસે મહિલાએ મહોલ્લાની યુવતીને ધમકી આપી હતી કે, ગાંજો તો અહીં જ વેચીશ, પોલીસને ભરણ આપું છું. તારાથી થાય તે કરી લે. કારેલીબાગ ઈન્દિરાનગર બ્રિજ પાસે રહેતી સામ્યા મોહંમદસોયેબ શેખ ગુરુવારે સવારે 11 વાગે બહેન સાથે ઘરે બેઠી હતી. આ વખતે તેમના મહોલ્લામાં રહેતી ઝરીના ઉસ્માન ધોબી ત્યાં આવીને ખોટા આક્ષેપ કરવા લાગી હતી કે, મારી તથા મારા ભાઈ વિરુદ્ધમાં કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં અરજીઓ કરી છે. જોર-જોરથી અપશબ્દો બોલવા લાગી હતી અને તે જાનથી મારી નાખવાની ધમકી આપતી હતી. કુંભારવાડા પોલીસે ગુનો ઝરીના સામે ગુનો નોંધીને કુંભારવાડા પાલીસે કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે દસ દિવસ પહેલાં જ રેડ કરી હતી, ઝરીનાના ભાઈ ફતેહ મોહમંદ શેખ, બહેન શેરબાનુને ગાંજા સાથે પકડી પાડ્યા હતા. અડધી રાત્રે લોકો અમારા ઘરે આવી ગાંજો માગે છેઝરીના મારી પુત્રીને ધમકી આપતી હતી કે, ગાંજો તો અહીં જ વેચીશ, તારાથી જે થાય તે કરી લે. પોલીસને ભરણ આપું છું, કોઈ કશું કરી શકશે નહીં. અમારી સુરક્ષાના પ્રશ્નો છે. અમે આ બધાથી ત્રાસી ગયા છે.(મોહંમદ સોયેબ શેખ સાથે થયેલી વાતચીત મુજબ)
ગેંગરેપ કેસનો આરોપી પોલીસના સકંજામાં:વડોદરાના નવલખી ગેંગરેપ કેસનો આરોપી કિશન આણંદમાંથી પકડાયો
વડોદરાના નવલખી મેદાનમાં 2019માં થયેલા ગેંગરેપ કેસમાં સંડોવાયેલા અને આજીવન જેલની સજા ભોગવતો આરોપી બે વર્ષ પહેલાં પેરોલ પર છૂટ્યા બાદ આજદિન સુધી હાજર થયો નહોતો. જેને આણંદ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે શુક્રવારે આણંદમાંથી ઝડપી પાડ્યો હતો. આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, તારાપુરના ઈસરવાડા ગામ સ્થિત દશામા મંદિર પાસે કિશન કાળુ માથાસુરીયા વિરુદ્ધ વર્ષ 2019માં સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. તેણે તેના મિત્રો સાથે મળીને વડોદરાના નવલખી મેદાનમાં સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બનાવ અંગે રાવપુરા પોલીસે ગુનો નોંધી તમામની ધરપકડ કરી હતી. દરમિયાન, આ કેસમાં કોર્ટે આજીવન જેલની સજા ફટકારી હતી. શખસ સુરતમાં આવેલી લાજપોર જેલમાં હતો. જ્યાંથી ગત 16મી મે, 2023ના રોજ પેરોલ પર છૂટ્યો હતો. પેરોલ પર છૂટીને આજદિન સુધી તે જેલમાં હાજર થયો નહોતો. કોર્ટ દ્વારા વોરંટ જારી કરાયું હતું પરંતુ તે હાજર રહેતો નહોતો. બીજી તરફ સ્થાનિક પોલીસ દ્વારા પણ તેની તપાસ કરાઈ હતી. પરંતુ તે તેના આણંદના તારાપુર સ્થિત ઘરે મળતો નહોતો. આ દરમિયાન આણંદ ખાતેના અમીન ઓટો સ્થિત ત્રણ રસ્તા પર તે હોવાની બાતમી આણંદ પેરોલ ફર્લો સ્કવોડની ટીમને મળતાં જ પોલીસે તેને દબોચી લીધો હતો. આટલા સમય દરમિયાન, શખસ રાજકોટ, પોરબંદર ખાતે ફૂટપાથ પર રહીને મજૂરી કામ કરતો હોવાનું જણાવ્યું હતું.
એમ.એસ.યુનિવર્સિટીમાં સીકયોરીટી સંદતર નિષ્ફળ ગઇ છે. આર્ટસ ફેકલ્ટીની કેન્ટીન નજીક અસમાજીક તત્વોનો જમાવડો થતી હોવાની ફરીયાદ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે. આર્ટસ ફેકલ્ટીની કેન્ટીનની બહાર અસમાજીક તત્વો પ્રવેશને બેસી રહેતા હોવાનું બહાર આવ્યું છે. યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકી અને આર્ટસ ફેકલ્ટી વિદ્યાર્થી આગેવાન હર્ષ કહાર તથા યસ ગ્રુપ દ્વારા ડીનને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. આર્ટસ ફેકલ્ટીની અંદર બહારના અસામાજિક તત્વો આવીને દૂષણ ફેલાવી રહ્યા છે. જેના કારણે વિદ્યાર્થીઓને ખૂબ મુશ્કેલી ઉભી થઇ રહી છે. વિદ્યાર્થીઓમાં ભયનો મોહાલ છે. જેથી તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે અને આઈ-ડી કાર્ડનું ચેકિંગ કરવામાં આવે તેવી માંગણી વિદ્યાર્થીએ કરી હતી. આર્ટસ ફેકલ્ટીના સત્તાધીશોએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી સત્તાધીશો પાસે ફેકલ્ટીમાં સીકયોરીટી વ્યવસ્થા વધારવામાં આવે તે માટેની માંગણી કરાઈ છે. સિક્યોરિટી નહિ મળે તો પોલીસની મદદ લેવાશે, પત્ર લખી માગ કરાશેયુનિ. દ્વારા આર્ટસ ફેકલ્ટીમાં સીકયોરીટી મૂકવામાં નહિ આવે તો તેવા કિસ્સામાં પોલીસની મદદ લેવામાં આવશે. સીકયોરીટી જવાનો મૂકવામાં આવતા નથી. ત્યારે આર્ટસ ફેકલ્ટીના સત્તાધીશો દ્વારા સયાજીગંજ પોલીસની મદદ લઇને પોલીસના જવાનો કેન્ટીન સહિતની જગ્યાએ પેટ્રોલિંગ કરે તે માટે પત્ર લખશે. જેનાથી યુનિવર્સિટી બહારથી આવતા અસમાજીક તત્વો પ્રવેશતા અટકાવી શકાય.
સન્માન કરાયું:એસએસજીમાં નિઃસહાય દર્દીઓને કરુણા વોર્ડમાં ભોજન સહિતની સહાય આપતી સંસ્થાનું સન્માન
શહેરના સયાજી હોસ્પિટલ ખાતે કરુણા વોર્ડ સાથે જોડાયેલ વિવિધ સામાજિક સંસ્થાઓના સન્માન માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કરુણા વોર્ડ દ્વારા નિ:સહાય, અજ્ઞાત અને એકલાં દર્દીઓની સતત સેવા અને સંભાળના કાર્યોમાં સહયોગી બની રહેલી આ સંસ્થાઓને હોસ્પિટલ દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો હતો. હોસ્પિટલની ટીમે વોર્ડ સાથે સંકળાયેલી લગભગ સાત જેટલી સંસ્થાઓનો સંપર્ક કરી તેમને ગુલદસ્તો, શાલ અને ધાર્મિક પુસ્તકો આપી સન્માનિત કર્યા હતા આ સંસ્થાઓ દ્વારા આવા દર્દીઓ માટે ખોરાક, કાઉન્સેલિંગ, પુનર્વસન અને આવશ્યક જરુરી સેવાઓ પૂરું પાડવામાં આવી રહી છે. કરુણા વોર્ડના ઈન્ચાર્જ ડો. નિર્મલા શાંતિલાલ ગાલીયલે જણાવ્યું કે,કરુણા વોર્ડની શરૂઆત નિ:સહાય, અજ્ઞાત અને એકલાં દર્દીઓની સેવા માટે કરવામાં આવી છે. કરુણા વોર્ડ વડોદરાની સાયાજી હોસ્પિટલમાં આવેલ એક વિશેષ યુનિટ છે, જ્યાં નિ:સહાય અને અજ્ઞાત દર્દીઓ માટે તબીબી સારવાર, સુરક્ષા અને માનપૂર્વકનું વાતાવરણ સાથે વોર્ડમાં પથારી, તબીબી સ્ટાફ, નર્સિંગ સેવા અને કાઉન્સેલિંગ જેવી સુવિધાઓ રાખવામા આવેલી છે.
ભાયલી સ્થિત આર્ષ વિદ્યા મંદિર સંકુલમાં ઓમકારેશ્વર મહાદેવ મંદિરના ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું શુક્રવારે ભવ્ય સમાપન થયું હતું.પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રીજા દિવસના કાર્યક્રમોમાં વિવિધ પરંપરાગત ક્રિયાઓનો સમાવેશ થયો હતો. શાસ્ત્રોક્ત વિધિ મુજબ શિવલિંગની સ્થાપના આકાશ માર્ગે થતી હોય છે એટલે છતની બારીમાંથી ભગવાનને ગર્ભગૃહમાં પીઠ પર સ્થાપિત કરવામાં આવ્યા હતા.ત્યારબાદ દુર્ગા સૂક્તમના મંત્રોચ્ચાર સાથે ભગવાન શિવની પાછળ પાર્વતી માતાની સ્થાપના કરવામાં આવી.પૂજ્ય મોરારી બાપુનું આગમન થયું હતું અને તેમણે પંડિતો સાથે રામ નામનું ઉચ્ચારણ કરીને હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરી હતી. મોરારી બાપુએ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા બદલ પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે એક ક્રાંતિકારી પગલાને પ્રકાશિત કર્યું કે માતાજી ધ્યાનંદજીએ પૂજામાં ભાગ લીધો હતો. જે એ માન્યતાનું ખંડન કરે છે કે, સામાન્ય રીતે મહિલાઓ હનુમાનજીની મૂર્તિને સ્પર્શતી નથી. મોરારી બાપુએ કહ્યું કે શુદ્ધ હૃદય ધરાવતી કોઈપણ વ્યક્તિ હનુમાનજીની પૂજા કરી શકે છે. તેમણે વડોદરાને સંસ્કારી નગરી ગણાવી અને આ સ્થળને એક સંસ્કારી તીર્થ તરીકે ખુલ્લું મુકાયું છે. તેમણે હનુમાનજીને માત્ર ભારતના જ નહીં, પરંતુ વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે સમગ્ર વિશ્વની સામાજિક, આર્થિક, નાણાકીય અને સ્વાસ્થ્ય સહિતની તમામ સમસ્યાઓના નિરાકરણ માટે પ્રાર્થના કરી. મહામંડલેશ્વર અવધેશાનંદજી પણ આવી ન શક્યાસંત સમાગમ માટે આવનાર મહામંડલેશ્વર અવધેશાનંદજી વડોદરા આવી શક્યા નહોતા. ઇન્ડિગોની ફ્લાઈટો રદ થવાને કારણે સંતો મહંતો પણ ન પહોંચી શકતા સંત સમાગમનો કાર્યક્રમ મોકુફ રખાયો હતો. મંત્રોચ્ચાર સાથે કઈ વિધિ થઈ • પ્રાતઃ કાળમાં પ્રાતઃ સૂક્ત , સ્વસ્તિ સૂક્ત પાઠ અને શાંતિ મંત્ર પાઠ કરવામાં આવ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ • દેવ પ્રબોધોત્સવ: દેવતાઓને જાગૃત કરવાનો ઉત્સવ. • શિવ પરિવારના દેવતાઓની સ્થાપના. • ધ્વજ પ્રતિષ્ઠા: મંદિરના ધ્વજનું સ્થાપન-પ્રતિષ્ઠા. • અષ્ટબંધ લેપન: મૂર્તિઓને પવિત્ર અષ્ટબંધ લેપ લગાવવો. અગ્નિ યજ્ઞો • તત્વ હોમ: તત્વોને સમર્પિત વિધિ. • કલા વૃદ્ધિ હોમ: દૈવી ઊર્જા વધારવા માટેનો યજ્ઞ. • મહા પૂર્ણાહુતિ: અગ્નિમાં ગ્રાન્ડ અંતિમ અર્પણ. વિગ્રહ સ્થાપના અને પૂજા • પૂજા અને દેવતાઓને ઢાંકેલા આવરણો હટાવ્યા પછી વિવિધ દેવતાઓની સ્થાપના શરૂ થઈ. • શિવલિંગ ઓમકારેશ્વરની સ્થાપના કરાઈ
દુબઇ-સિંગાપુરને ઝાંખા પાડે એવા આઇકોનિક ટાવર્સ. હાઇટેક રોડ નેટવર્ક અને વર્લ્ડક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આ છે દેશનું પહેલું ઓપરેશનલ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી. એક હજાર એકરમાં આકાર લઇ રહેલાં મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટમાં 67 ટકા પ્રોજેક્ટ કોમર્શિયલ જ્યારે 6 હજાર રેસિડેન્સિયલ ફ્લેટ હશે. હાલ 500થી વધુ કંપની ઓપરેશનલ છે. જેમાં ગુગલ અને IBM જેવી ટેક, અને બેંક ઓફ અમેરિકા સહિત દેશ વિદેશની ટોપ બેંકિંગ, ફાઈનાન્સ એને ઇન્સ્યોરન્સ કંપનીઓ સામેલ છે. અત્યારે અહીં 10 હજાર પ્રોફેશનલ્સ કામ કરી રહ્યા છે. 2030 સુધીમાં આ આંકડો 80 હજાર સુધી પહોંચવાનો અંદાજ છે. ખાસ વિશેષતા એ કે, અહીં કોઈ બિલ્ડિંગમાં AC લગાવવાની જરૂર નથી. ડિસ્ટ્રિક્ટ કૂલિંગ સિસ્ટમથી આખા ગિફ્ટ સિટીમાં કૂલિંગ સપ્લાય થાય છે. આજે અહીં 30% એનર્જી સોલરથી જનરેટ થઈ રહી છે. ગિફ્ટ સિટીનું હૃદય અને મગજ આ 30% કમાન્ડ એન્ડ કન્ટ્રલો સેન્ટર છે. જેની અંદરની દુનિયા સાવ અલગ છે. અહીંનો નાઇટ વ્યૂ પણ રોમાંચક છે. હાલ અહીં રિવરફ્રન્ટનાં કામનો ધમધમાટ ચાલી રહ્યો છે. ભવિષ્યમાં રિવર ક્રુઝથી અમદાવાદ જવાય તેવી યોજના છે.
SIRની કામગીરી:સયાજીગંજ-અકોટામાં નવા વિસ્તારો અને સ્થળાંતરથી 30 ટકા ફોર્મનું હજુ મેપિંગ નહીં
વડોદરાની 10 વિધાનસભામાં સયાજીગંજ અને અકોટામાં નવા બનેલા વિસ્તારો અને સ્થળાંતરથી 30 ટકા એટલે કે 1.79 લાખ જેટલાં ફોર્મ મેપિંગ વગર છે, જ્યારે 19 ટકા ફોર્મ અનકલેક્ટ છે. જેથી ચૂંટણી પંચ 7 ડિસેમ્બરે વિશેષ કેમ્પ યોજશે. ચૂંટણી પંચે ગણતરી ફોર્મ જમા કરાવવાની સમય મર્યાદામાં 11 ડિસેમ્બર સુધી વધારો કર્યો છે. જે અંતર્ગત ફોર્મ સબમિટ કરાવવા કે મેપિંગ કરવાનાં બાકી મતદારો માટે 7મીએ વડોદરાની તમામ 10 વિધાનસભામાં વિશેષ કેમ્પ યોજાશે. બીએલઓ સવારે 9 કલાકથી બપોરે 1 કલાક સુધી હાજર રહેશે. જેમાં મતદારોને 2002ની યાદીમાં નામ શોધવા, ફોર્મ ભરાવવા, ભરેલાં ફોર્મ સ્વીકારવા તેમજ મેપિંગ વગરના મતદારો દ્વારા સ્વેચ્છાએ જરૂરી દસ્તાવેજો સ્વીકારવા સંબંધિત કામગીરી કરાશે. ચૂંટણી પંચ દ્વારા 7 ડિસેમ્બરે દરેક 10 વિધાનસભામાં વિશેષ કેમ્પનું આયોજન કરાશે ડો.અનિલ ધામેલિયા (કલેક્ટર) સાથે સીધીવાતસયાજીગંજ અને અકોટા વિધાનસભા વિસ્તારમાં ફોર્મનું મેપિંગ કેમ ઓછું થઈ રહ્યું છે?જવાબ : મેપિંગ ઓછું થવાનું મુખ્ય કારણ માઈગ્રેશન અને નવા બનેલા વિસ્તારો છે. લોકો એક સ્થળ છોડી બીજે જતા રહ્યા હોવાના કિસ્સામાં મેપિંગ નથી થઈ રહ્યું. દરેક ફોર્મનું મેપિંગ થાય તેના માટે શું પ્રયાસો થઈ રહ્યા છે?બીએલઓ દ્વારા જે જે સોસાયટીઓમાં ફોર્મ વિતરણ કર્યાં હતાં ત્યાં પાછાં મોકલીને લોકોએ ફોર્મ ભર્યાં હોય તો તેનું મેપિંગ કરાવવા તેમજ ફોર્મ ન લીધાં હોય તો ફરીથી ફોર્મ આપી તેનું મેપિંગ કરાવી રહ્યાં છીએ. હજુ પણ 4 લાખ ફોર્મ પરત નથી આવ્યાં તે અંગે શું કહેશો?જે ફોર્મ અનકલેક્ટેબલ છે તે માટે અમે સ્થાનિક રાજકીય પક્ષની પણ મદદ લઈ રહ્યા છીએ. આ ઉપરાંત બીએલઓ દ્વારા પણ સોસાયટીઓમાં જઈને ફોર્મ કેમ પરત નથી આવી રહ્યાં તે તપાસી રહ્યાં છીએ.
આપદા યથાવત:બાપોદ ટાંકીનું 6500 બિલ ન ભરાતાં વીજ કંપનીએ જોડાણ કાપ્યું, 20 હજાર લોકો પાણી વિના ટળવળ્યા
નિમેટાથી આજવા સુધી નાખેલી પાણીની લાઈનનું જોડાણ કરતી વેળાએ પાલિકાએ લીધેલા શટ ડાઉનની અસર માંડ થાળે પડી છે તેવામાં બાપોદ ટાંકીથી સવારે લોકોને પાણી ન મળતાં હોબાળો થયો હતો. જેમાં સ્કાડા સિસ્ટમનું રૂા.6500 વીજ બિલ બાકી રહેતાં જોડાણ કાપી નખાયું હતું, જેથી આ સ્થિતિ સર્જાઈ હોવાનું ખૂલ્યું હતું. બાપોદ ટાંકીથી પાણી મેળવતા વોર્ડ 15 અને વોર્ડ 5ના 20 હજારથી વધુ લોકોને શુક્રવારે સવારે પાણી ન મળતાં હોબાળો થયો હતો. કાઉન્સિલર આશિષ જોષીના જણાવ્યા મુજબ સવારે 8 વાગે ધરતી ટેનામેન્ટ, વૈકુંઠ-1, મનોરથ ટેનામેન્ટ, પુષ્ટિ દ્વાર, પુષ્ટિ પ્રભા સહિતની સોસાયટીમાં પાણી ન મળ્યું હોવાની ફરિયાદ મળી હતી. જેથી ટાંકી પર જોતાં સ્કાડા સિસ્ટમનું 6500 બિલ બાકી હોવાથી વીજ કંપનીએ જોડાણ કાપ્યું હતું. જેથી વોર્ડ 15 અને 5ના સવારના ઝોનમાં લોકોને પાણી ન મળતાં પરેશાની થઈ હતી. જોડાણ કાપનાર વીજ કંપનીને એટલી ખબર નહીં હોય કે ટાંકીનું જોડાણ કાપવાથી લોકોને પાણી નહીં મળે.જ્યારે વીજ અધિકારીના જણાવ્યા મુજબ ભૂલથી ટાંકીનું જોડાણ કપાયું છે, પછી જાણ થતાં પુરવઠો શરૂ કરાયો હતો. ભાસ્કર ઇનસાઇડવીજ પુરવઠો કપાતાં મેન્યુઅલી વાલ્વ ખોલી પાણી આપવું પડ્યુંપાલિકાની દરેક ટાંકીમાં કરોડો રૂપિયાના ખર્ચે સિસ્ટમ મૂકવામાં આવી છે. આ સિસ્ટમમાં પાણીના વાલ્વ કેટલા વાગે શરૂ થશે અને કેટલા વાગે બંધ થશે તેવું પ્રોગ્રામિંગ કરેલું છે. બાપોદ ટાંકીમાં સવારના 6 વાગ્યાના સમય અલગ વિસ્તારમાં પાણીનું વિતરણ કરાયું હતું. ત્યારબાદ 8 વાગે વીજ પુરવઠો કપાતાં વાલ્વ ખૂલ્યા ન હતા. શરૂઆતમાં પાણી વિતરણ કેમ નથી થયું તે અંગે કર્મચારીઓ અજાણ રહ્યા હતા. ત્યારબાદ વીજ પુરવઠો બંધ થવાને કારણે પાણીનું વિતરણ નથી થયું તેમ જાણવા મળતાં કર્મચારીઓએ 11 વાગે મેન્યુઅલી વાલ્વના આંટા ખોલ્યા હતા અને પાણી વિતરણ કર્યું હતું. જેથી લોકોને 3થી 4 કલાક મોડું પાણી મળ્યું હતું.
વેધર રિપોર્ટ:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ-રાજસ્થાનના કોલ્ડવેવથી પારો 14 ડિગ્રી થયો
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી શુક્રવારે ઠંડા પવનો ફૂંકાયા હતા, જેને પગલે શહેરમાં ડિસેમ્બરનું સૌથી ઓછું 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે શનિ-રવિવારે પણ ઠંડીની તીવ્રતા જોવા મળશે. 15 દિવસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વારંવાર આવવાથી શહેરમાં ઠંડીનો પારો 12 ડિગ્રી સુધી પહોંચી શકે છે. શહેરમાં શુક્રવારે મહત્તમ પારો 29.6 ડિગ્રી અને લઘુતમ પારો 14.4 ડિગ્રી નોંધાયો હતો. ભેજનું પ્રમાણ સવારે 82 ટકા અને સાંજે 48 ટકા નોંધાયું હતું. નોર્થ અને નોર્થ-ઈસ્ટની દિશાથી 7 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા. પહાડી વિસ્તારમાં હિમવર્ષા થતાં ઠંડીનું પ્રમાણ વધ્યું પહાડી વિસ્તારોમાં હિમવર્ષાથી ઠંડા પવનોએ ઠંડી વધારી છે. સાથે રાજસ્થાનમાં કોલ્ડવેવ છે, જેથી રાજસ્થાનથી આવતા પવનોએ પણ પારો ઘટાડ્યો છે. > મુકેશ પાઠક, હવામાન શાસ્ત્રી
ગોરવામાં પરિણીતાને તેના સાસરિયા લગ્ન બાદથી મ્હેણાં મારીને ત્રાસ આપતાં હતાં. તેઓ ઉપવાસ હોવા છતાં પરિણીતાને નોનવેજ ખાવા દબાણ કરતાં હતાં અને મકાન લેવા 5 લાખ લાવવા જણાવતાં હતાં. આ મામલે ગોરવા પોલીસે ગુનો નોંધ્યો હતો. ગોરવામાં રહેતી 27 વર્ષીય પરિણીતાએ પોલીસ ફરિયાદ કરી હતી. જેમાં જણાવ્યું કે, એપ્રિલ-2024માં મારા લગ્ન અમદાવાદના નીતિન સાથે થયા હતા. પતિને નવું મકાન ખરીદવું હતું, જેથી મારા પિતા પાસે 5 લાખ માગ્યા હતા. જોકે પિતા રૂપિયા આપી શક્યા નહોતા. જેથી સાસુ તારા પિતાએ રૂપિયા આપ્યા નહીં, તેવાં મ્હેણાં મારતાં હતાં. સાસુ અવાર-નવાર તારી માતાએ કોઈ કામ શીખવાડ્યું નથી અને માકલી દીધી છે, કહીને ઝઘડો કરતાં હતાં. પતિ પણ માર મારી કહેતા કે, તારા કરતાં તો નોકરી કરતી છોકરી સાથે લગ્ન કરવાના હતા. તહેવારમાં સાસરિયાં જમવાનું લાવે ત્યારે મને જમવા દેતા નહોતાં. જ્યારે મારો ઉપવાસ હોવા છતાં નોનવેજ ખાવા દબાણ કરતા હતા અને ખવડાવતા પણ હતા. તે તહેવારમાં પણ કોઈ રૂપિયા આપતા નહોતા અને કહેતા હતા કે, તારા પિતાને કહે કે રૂપિયા આપે સાથે જ તે ઝઘડો કરતા હતા. ત્યારબાદ હું મારા પિયરમાં લગ્ન પ્રસંગમાં ગઈ હતી. જોકે મને સાસરીમાં પરત લઈ જવા પતિ આવ્યા નહોતા. હું જાતે ગઈ હતી ત્યારે સાસરિયાએ કેમ આવી, કહી ઝઘડો કર્યો અને મને માર માર્યો હતો. જેમાં મને ઈજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. આ મામલે ગોરવા પોલીસે અમદાવાદમાં રહેતાં 5 સાસરિયાં સામે ગુનો નોંધ્યો હતો. મારા કામની વાત ‘આ બટકીનું શું કામ છે’ કહી સાસરિયાં મ્હેણાં મારતાં હતાંપરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મામી સાસુ પતિને ચઢામણી કરતાં હતાં કે, આ કેવી વહુ લાવ્યો છે. આના કરતાં નોકરી કરતી છોકરી લવાય, આ બટકીનું શું કામ છે. તેના પિતાના ઘરે મૂકી આવ.
હવાઈ આપદા:ઇન્ડિગોની મુંબઈ-દિલ્હી સહિતની તમામ ફ્લાઇટ રદ 2700 મુસાફરો અટવાયા,રિફંડ લેવા એરપોર્ટ પર ભીડ
ઇન્ડિગો એર લાઇન્સ દ્વારા તમામ ફ્લાઇટ રદ કરાતાં વડોદરા એરપોર્ટ પર આવતી 9 ફ્લાઈટ પણ રદ થઈ હતી. મુંબઈ, દિલ્હી, પૂના, ગોવા, હૈદરાબાદ, બેંગલોરની ફ્લાઇટ રદ થતાં વડોદરા આવનારા અને વડોદરાથી જનારા 2700 મુસાફરો અટવાયા હતા. એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યા મુજબ એર ઇન્ડિયાએ દિલ્હી માટે શુક્ર અને શનિવારે વધુ એક ફ્લાઇટ મૂકી છે. બીજી તરફ 7મી તારીખ સુધી ઇન્ડિગો એર લાઇન્સે વડોદરાની તમામ ફ્લાઈટ રદ કરવાની જાહેરાત કરી હતી. જોકે તે પછી શનિવારથી રાબેતા મુજબ ફ્લાઇટ ઓપરેટ કરવાની જાહેરાત કરી હતી. ઇન્ડિગો ક્રાઈસીસને પગલે શનિવારનું એર ઇન્ડિયાનું વડોદરાથી દિલ્હીનું ભાડું 33 હજાર અને મુંબઈનું ભાડું 27 હજાર સુધી પહોંચ્યું છે. સાથે ટિકિટ બુકિંગ કરનારા એજન્ટોને અન્ય વિકલ્પ માટે સતત ફોનથી ઇન્કવાયરી આવતાં તેઓ કંટાળ્યા હતા. પાર્થ ટ્રાવેલ્સના સંચાલક દ્વારા જણાવ્યા મુજબ 300થી વધુ ફોન એક દિવસમાં આવ્યા હશે. ટ્રેન બુકિંગ પણ ફુલ હોવાથી મુસાફરોને વધુ મુશ્કેલી થઈ રહી છે. ખાસ કરીને દિલ્હીથી આવવામાં સમસ્યા સર્જાઇ રહી છે. એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યા મુજબ અનેક લોકોની વડોદરા એરપોર્ટ ખાતે ટિકિટ બારી પાસે ચકમક ઝરી હતી. વિદેશ જવાનું હોવાથી ટ્રેનની ટિકિટ કરાવી6 તારીખે મુંબઈથી યુએસની ફ્લાઈટ છે. ફ્લાઈટ રદ થતાં ટ્રેનની ટિકિટ બુક કરાવી છે. જોકે સામાન લઈ જવામાં મુશ્કેલી સર્જાશે. વિદેશ જવું અગત્યનું હોવાથી રદ થઈ શકે તેમ નથી, નહીં તો મોટું નુકસાન વેઠવું પડે. > કે.કે. હરિયાણી, મુસાફર ઉત્તર ભારત તરફની ઇન્ડિગોની સીધી કનેક્ટિવિટી વડોદરાના ટુરિઝમને રૂા.5 કરોડથી વધુનું નુકસાનવડોદરાથી હિમાચલ, શિમલા, કાશ્મીર જેવાં ડેસ્ટિનેશન માટે સૌથી વધુ ટુર અને ગ્રૂપ પેકેજ મૂકાઈ રહ્યાં છે. 70% લોકો ઇન્ડિગો દ્વારા મુસાફરી કરે છે. હોટલ બુકિંગનું 100% પેમેન્ટ કર્યું હોય ત્યારે હાલ રિફંડ કે તારીખ બદલવાની મોટી સમસ્યા છે. અંદાજે 5 કરોડના નુકસાનનો અંદાજ છે. નોર્થમાં એક માત્ર ડાયરેક્ટ ઇન્ડિગો ફ્લાઇટ હોય છે, > ભૂમિકા પટેલ, પર્પલ વિંગ ટ્રાવેલ્સ એરપોર્ટ પર કેન્સલેશન અને રિફંડ માટે રાત્રે લોકો ઊમટ્યાએરપોર્ટ પર ઈન્ડિગો એર લાઇન્સની બુકિંગ વિન્ડો પર રાત્રે પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ટિકિટ કેન્સલેશન અને રિફંડ માટે લોકો રાત સુધી ધક્કા ખાતા જોવા મળ્યા હતા. 2 કલાકની મુસાફરી 24 કલાકની થઈઅમે પરિવારના 4 જણ ગોવા ગયા હતા. શુક્રવારે ગોવા-વડોદરા ફ્લાઇટ રદ થતાં મુંબઈ થઈને ટ્રેનમાં વડોદરા આવવાના છીએ. બે કલાકની મુસાફરી 24 કલાકની થઈ છે. જોકે પૈસા બચ્યા, પણ સમય વેડફાયો. > આલોક ઠક્કર, મુસાફર
ચૂંટાયેલી પાંખ-વહીવટી તંત્ર વચ્ચેનો ખટરાગ ખૂલતાં વિવાદ થયો છે. ક્લાસ-1 અધિકારીઓની માસ સીએલમાં 300થી વધુ કર્મી જોડાતાં વિવિધ વિભાગના દરવાજા પર તાળાં જોવા મળ્યાં હતાં. વહીવટી તંત્રની આડોડાઈથી અજાણ હોવાનો ડોળ કરતા પદાધિકારીઓની બેઠક બાદ અધિકારીઓને હાજર થવા હુકમ કરાયો હતો. જોકે વહીવટી તંત્ર પર પકડ ગુમાવી ચૂકેલા પદાધિકારીઓની અવગણના કરી એકેય અધિકારી ફરક્યા નહતા. ત્રાહિત વ્યક્તિઓની હેરાનગતિ, ભ્રષ્ટાચારની ફરિયાદો અને ઓડિટ વિભાગ દ્વારા બિલ રોકી રખાય છે તેવા આક્ષેપ કરી ક્લાસ-1 અધિકારીઓએ માસ સીએલ પર ઊતરવા નિર્ણય કર્યો હતો. આશ્ચર્યજનક બાબત એ છે કે, તેમની સાથે ક્લાસ-2 અને 3ના અધિકારી-કર્મીઓ પાલિકામાં આવ્યા ન હતા. આ બાબતથી અજાણ હોવાનો ડોળ કરતાં મેયર પિન્કીબેન સોનીએ નિદ્રામાંથી જાગી સ્થાયી ચેરમેન સહિતના પદાધિકારી સાથે બેઠક યોજી ડે. મ્યુ. કમિશનર ગંગા સિંઘને અધિકારીઓને ફરજ પર હાજર કરવા સૂચના આપી હતી. જોકે એક પણ અધિકારી પહોંચ્યા ન હોવાની માહિતી મળી છે. ભાસ્કર ઇનસાઈડરૂા.62 લાખના બિલમાં કાર્યક્રમ પૂર્વેનાં બિલ, ખુરશી-સોફાની વિગતો રિપીટ થતાં ઓડિટ વિભાગે સ્પષ્ટતા માગી,પીઆરઓ વિભાગે આપીઓડિટ વિભાગે વાય.એમ. હોસ્પિટાલિટીના 62 લાખના બિલના ઓડિટમાં સામે આવેલા 15થી વધુ વાંધાની સ્પષ્ટતા કરવા પીઆરઓ વિભાગને તાકીદ કરી છે. જોકે 15 દિવસ થવા છતાં પીઆરઓ વિભાગે સ્પષ્ટતા કરી નથી. પીઆરઓ વિભાગ સ્પષ્ટતા કરે તો બિલ એકાઉન્ટ વિભાગમાં મોકલી અપાશે. ઓડિટ વિભાગે પીઆરઓ પાસેથી ટેક્સ ઇનવોઇસમાં આઈટમનો જથ્થો દર્શાવવા, ઇવેન્ટ પૂર્વેની તારીખનાં બિલો અંગે સ્પષ્ટતા, આરએન્ડબીના SORની નકલ, ટ્રાવેલ એક્સપેન્સની વિગત, મ્યૂઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ અને બેકલાઇન સેટઅપનો જથ્થો અને ભાવ, ખુરશી-સોફાની વિગતો રિપીટ થતી હોવાથી ખાતરી કરી કપાત કરવા જેવા વાંધા રજૂ કર્યા છે. મિસ્લેનિયસ-કોઓર્ડિનેશન શેનો ખર્ચ છે, તે સ્પષ્ટ કરોઓડિટ વિભાગ વિકાસનાં કામોનાં બિલોની ચકાસણી કરે છે. જેમાં વાય.એમ. હોસ્પિટાલિટી દ્વારા યોજાયેલી ઇવેન્ટનું 62 લાખનું બિલ પીઆરઓ વિભાગમાંથી મોકલાયું હતું. જેમાં ઓડિટ વિભાગે પૂછ્યું છે કે, મિસ્લેનિયસ એન્ડ કોઓર્ડિનેશન શેનો ખર્ચ છે? પાલિકાનાં 70 વર્ષના ઇતિહાસમાં આવો ખર્ચ આવ્યો નથી. પાલિકામાં કાળો દિવસ,ચૂંટાયેલી પાંખ અને વહીવટી તંત્ર મળી ઉકેલ લાવે: યોગેશ પટેલપાલિકામાં પદાધિકારીઓ વચ્ચે ચાલતી જૂથબંધી બાદ ચૂંટાયેલી પાંખ અને વહીવટી તંત્ર વચ્ચે ખટરાગ શરૂ થયો છે. જેને કારણે સત્તાપક્ષ ભાજપની ભારે બદનામી થઈ રહી છે. ભાજપના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે પાલિકાના આજના દિવસને કાળો દિવસ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, ચૂંટાયેલી પાંખ અને વહીવટી તંત્રની ભારે બેદરકારી છે. બંને પક્ષોએ મમત રાખી છે, જેથી આ સ્થિતિ સર્જાઈ છે અને ભવિષ્યમાં પણ આ સ્થિતિનું પુનરાવર્તન થશે. બંને જવાબદારી ચૂક્યા છે, જેને કારણે સુવિધા ન મળતાં લોકો પરેશાન થયા છે. બંને પક્ષે મળી અધિકારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈએ. મ્યુ. કમિશનર મહેશ બાબુ સાથે ફોન પર વાતચીત થઈ છે અને તેઓએ અધિકારીઓ સાથે મિટિંગ કરી સમસ્યાનો ઉકેલ લાવીશું તેવી ખાતરી આપી છે. મ્યુ. કમિશનર 2 મહિનાથી મળતા નથી,12 હજાર કર્મી આંદોલન કરશેપાલિકામાં શુક્રવારે ક્લાસ 1 અધિકારીઓ સાથે કર્મીઓ કામગીરીથી અળગા રહી વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે વડોદરા મહાનગર પાલિકા કર્મચારી મહામંડળે પણ માસ સીએલ પર ઊતરવાની ચીમકી ઉચ્ચારી છે. મહામંડળના સભ્યોએ પાલિકામાં પહોંચી રજૂઆત કરી કે, વર્ગ 1 થી વર્ગ 4ના કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિકાલ માટે મ્યુનિસિપલ કમિશનર પાસે બે મહિનાથી સમય માગ્યો છે, પરંતુ તેઓ સાથે મુલાકાત થતી નથી. 15 દિવસમાં મુલાકાત નહીં થાય તો મહામંડળના વર્ગ 1થી વર્ગ 4ના અધિકારી-કર્મચારીઓ મળી 12 હજારનો સ્ટાફ માસ સીએલ પર ઊતરશે.
શું તમારો દીકરો, દીકરી કે પરિવારનું કોઈ સભ્ય અમેરિકામાં રહે છે? જો હા, તો આ સમાચાર તમારા માટે ચેતવણીરૂપ છે... અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત પછી ઘણા ભારતીયોમાં 'ડિપોર્ટેશન' એટલે કે દેશનિકાલ થવાનો ડર પેસી ગયો છે. હવે સાયબર ઠગોએ આ ડરને જ પોતાનું હથિયાર બનાવ્યું છે. અત્યાર સુધી પોલીસ કે CBI બનીને લૂંટતા ઠગો હવે 'ઈન્ડિયન એમ્બેસી'ના અધિકારી બનીને લોકોને શિકાર બનાવી રહ્યા છે. જો તમારા પર આવો કોઈ ફોન આવે તો ગભરાયા વગર શું કરવું જોઈએ? ચાલો ભાસ્કર એક્સપ્લેનરમાં જાણીએ... કેવી રીતે થાય છે ફ્રોડની શરૂઆત? તમારા મોબાઈલ પર એક અજાણ્યો ફોન આવશે. જ્યારે તમે ટ્રુ-કોલર (Truecaller) પર ચેક કરશો તો ત્યાં નામ દેખાશે - 'ઈન્ડિયન એમ્બેસી' (Indian Embassy). સામેવાળી વ્યક્તિ ખૂબ જ પ્રોફેશનલ રીતે વાત કરશે અને તમને કહેશે કે, તમારા બાળકના વિઝા ફોર્મમાં ગંભીર ભૂલ છે અથવા તમારા નામે ગંભીર ગુના નોંધાયેલા છે. તમને ડરાવવા માટે કહેવામાં આવશે કે, જો તમે અત્યારે જ આ મામલો થાળે નહીં પાડો અથવા સેટલમેન્ટ નહીં કરો, તો તમને કે તમારા બાળકને તાત્કાલિક ભારત પાછા મોકલી દેવામાં (Deport) આવશે. 'સ્પૂફિંગ' અને 'ડિજિટલ અરેસ્ટ'નો ખેલ સમજો અહીં સૌથી મોટો સવાલ એ થાય કે ટ્રુ-કોલર પર 'ઈન્ડિયન એમ્બેસી' કેમ બતાવે છે? અધિકારી અને ઠગ વચ્ચેનો ભેદ કેવી રીતે પારખવો? જો તમને આવો કોલ આવે તો ગભરાવાની જરૂર નથી. અસલી ઈન્ડિયન એમ્બેસી અને ફ્રોડ વચ્ચેનો તફાવત આ 3 મુદ્દાઓથી સમજી શકાય છે: આટલું ખાસ યાદ રાખો જો તમને આવો કોઈ શંકાસ્પદ કોલ આવે જેમાં વિઝા રદ કરવાની કે ડિપોર્ટ કરવાની ધમકી આપવામાં આવે, તો નીચે મુજબના પગલાં લો: દિવ્ય ભાસ્કર માટે સમીર પરમારનો રિપોર્ટ. વધુ માહિતી માટે વીડિયો જુઓ
“ભારત ટેક્સી છે એ આપણી ટેક્સી છે, આપણી એપ છે અને આપણી રીતે ચલાવવાની છે” – આ સૂત્ર સાથે વિશ્વનું સૌથી મોટું ડ્રાઇવર-માલિકી નેટવર્ક ‘ભારત ટેક્સી’ હવે રાજકોટમાં પગપેસારો કરી ચૂક્યું છે. દિલ્હી બાદ ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં 26 નવેમ્બરે સોફ્ટ લોન્ચ થયું અને પહેલા જ દિવસે 200થી વધુ ડ્રાઇવરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. હાલ અહીં 1000થી વધુ ટુ-વ્હીલર, રિક્ષા અને કાર ડ્રાઇવરો જોડાઈ ચૂક્યા છે, જ્યારે ગુજરાત-દિલ્હી મળીને આખા દેશમાં 51 હજારથી વધુ ડ્રાઇવરો સરકાર માન્ય ભારત ટેક્સીમાં રજિસ્ટર્ડ થયા છે. ડિસેમ્બર અંત સુધીમાં કસ્ટમર એપ લોન્ચ થતાં જ રાજકોટના લોકોને અન્ય ખાનગી કેબ કંપનીઓ કરતા સસ્તી અને કમિશન-ફ્રી રાઇડ સેવા મળવા લાગશે, કારણ કે અહીં ડ્રાઇવર જ માલિક છે.આ સેવામાં જોડાનારા ડ્રાઇવરોને સારથી તરીકે ઓળખવામાં આવશે. 26 નવેમ્બરના રોજ ડ્રાઇવર રજિસ્ટ્રેશન એપ્લિકેશનનું સોફ્ટ લોન્ચિંગ રાજકોટમાં સહકાર ટેક્સીના એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ સંદીપ પટણીએ જણાવ્યું હતું કે, ભારત ટેક્સીની શરૂઆત સૌપ્રથમ દિલ્હીમાં કરાઈ હતી અને ત્યારબાદ ગુજરાતના રાજકોટ શહેરમાં કિસાનપરા ચોક ખાતે 26 નવેમ્બરના રોજ ડ્રાઇવર રજિસ્ટ્રેશન એપ્લિકેશન લોન્ચ કરી હતી. આ લોન્ચિંગ સહકાર ટેક્સીના ઉચ્ચ અધિકારી ગૌતમ ગાંગુલી, એક્ઝિક્યુટિવ સંદીપ પટણી, અને બોર્ડ ઓફ ડિરેક્ટર કિશનભાઈની હાજરીમાં કરવામાં આવ્યું હતું. અમદાવાદ તથા રાજકોટ સહિત રાજ્યભરના ડ્રાઇવરભાઈઓએ આ સમારોહમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. 200-250 ડ્રાઈવર પહેલા જ દિવસે જોડાયાલોન્ચિંગના પહેલા દિવસે જ 200-250 જેટલા ડ્રાઈવરોએ ભારત ટેક્સી માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું. અત્યાર સુધીમાં ઓલઓવર ગુજરાતના 1 હજાર કરતાં પણ વધુ ડ્રાઈવરો અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. રજિસ્ટ્રેશન માટે ડ્રાઇવરોએ ફક્ત સબ્સ્ક્રિપ્શન ફી ચૂકવવાની રહેશેભારત ટેક્સીની એક અનોખી વિશેષતા એ છે કે, તેમાં કોઈ કમિશન ચાર્જ નહીં લાગે. ડ્રાઇવરોએ ફક્ત સબ્સ્ક્રિપ્શન ફી ચૂકવવાની રહેશે. જે દૈનિક, સાપ્તાહિક અથવા માસિક હોઈ શકે છે. આ રીતે દરેક ટ્રીપમાંથી થતી સંપૂર્ણ કમાણી સીધી ડ્રાઇવરના ખિસ્સામાં જશે.સરકાર માને છે કે, આનાથી આર્થિક રીતે મજબૂતાઈ મળશે અને લાખો ડ્રાઇવરોનો આત્મવિશ્વાસ વધશે. દેશના 51 હજારથી વધુ ડ્રાઈવરો ભારત ટેક્સીમાં રજિસ્ટર્ડવધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અન્ય પ્રાઇવેટ કેબ કંપનીઓ 20થી 25% કમિશન લેતી હોય છે પરંતુ, જે ભારત ટેક્સી આવવાની છે તેમાં કોઈપણ પ્રકારનો અન્ય ચાર્જ લેવામાં નહીં આવે અને સીધો લાભ ડ્રાઇવરોને મળવાનો છે. ગુજરાત અને દિલ્હીમાં અત્યાર સુધીમાં 51 હજારથી પણ વધુ ડ્રાઈવરો રજિસ્ટર્ડ થઈ ચૂક્યા છે. ભારત ટેક્સી માટેની કસ્ટમર એપ ડિસેમ્બરના અંત સુધીમાં આવી જશે અને ત્યારબાદ લોકોને ભારત ટેક્સીની સુવિધા મળતી શરૂ થઈ જશે. ડ્રાઇવર અને પેસેન્જર્સ બંનેને સીધો ફાયદો મળશેઆ ઉપરાંત ટેક્સીના ભાડા બાબતે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, ભારત ટેક્સીમાં થનારો ફાયદો ડ્રાઇવરો અને લોકોને દેખાશે. જેનો ચાર્જ સરકારના ધારા ધોરણ મુજબ રહેશે સરકાર દ્વારા જે ચાર્જ નક્કી કરવામાં આવશે તે મુજબ જ મુસાફરો પાસેથી ચાર્જ વસૂલવામાં આવશે. અંતમાં તેમણે જણાવ્યું હતું કે, ડ્રાઇવરો ભારત ટેક્સીના માલિક રહેશે. આ સહકારી કેબ સેવા હજુ સુધી દેશભરમાં શરુ નથી થઈરાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજુરી બાદ કિશનપરા ચોક ખાતે પરંપરાગત પૂજા સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. સોફ્ટ લોન્ચિંગમાં 200થી વધુ ડ્રાઇવરોની હાજરી નોંધાઈ હતી.ભારત ટેક્સીને વિશ્વના સૌથી મોટા ડ્રાઇવર-માલિકી નેટવર્ક તરીકે ઓળખવામાં આવી રહી છે. દિલ્હી અને ગુજરાતમાં કાર, ઓટો અને બાઇકની ત્રણેય શ્રેણીઓના 51,000થી વધુ ડ્રાઇવરોએ આ પ્લેટફોર્મ પર નોંધણી કરાવી છે. જોકે,આ સહકારી કેબ સેવા હજુ સુધી દેશભરમાં શરૂ કરવામાં આવી નથી. ભારત ટેક્સી પહેલાથી જ વિશ્વના સૌથી મોટા ડ્રાઇવર-માલિકી ગતિશીલતા સમૂહ તરીકે ઉભરી આવી છે.

32 C