ચોરીનો મામલો આવ્યો સામે:2 લાખ રિક્ષાનું રજિસ્ટ્રેશન છતાં વૃદ્ધ દંપતીના 1.50 લાખની મતા ચોરાઈ
રિક્ષાચાલક અને સાગરિતો પેસેન્જરના સામાનમાંથી પૈસા - દાગીનાની ચોરી કરી લેતા હોવાની ઘટનાઓ વધી ગઈ હતી. જેથી શહેર પોલીસે પૈસા અને સમય બગાડીને 2 લાખ કરતાં પણ વધારે રિક્ષાઓનું રજિસ્ટ્રેશન કરાવીને સ્ટીકર લગાવ્યા હતા. તેમ છતાં મુુંબઈથી અમદાવાદ આવેલા વૃદ્ધ દંપતિના સામાનમાંથી રિક્ષાચાલક અને સાગરિતો રૂ.1.50 લાખના દાગીના ચોરી ગયા હતા. મુંબઈમાં રહેતા દિનેશભાઈ શાહ(68) અંધેરીમાં આવેલા ફાઈન જવેલરીમાં નોકરી કરે છે. દિનેશભાઈના સબંધીના ત્યાં લગ્ન પ્રસંગ હોવાથી તેઓ તા.4 ફેબ્રુઆરીએ પત્ની જ્યોત્નાબહેન સાથે મુંબઈથી ગુજરાતમેલ ટ્રેનમાં અમદાવાદ આવ્યા હતા. બંને તા.5 ફેબ્રુઆરીએ સવારે 3.45 વાગ્યે મણિનગર રેલવે સ્ટેશન ઉતર્યા હતા. ત્યાંથી પાલડી જવા માટે તેઓ રિક્ષામાં બેઠા હતા. રિક્ષાચાલકે દિનેશભાઈને આગળ બેસવાનું કહીને બેગ પાછળ મુકાવી હતી. જ્યારે જ્યોત્સનાબહેનને પણ પાછળની સીટ ઉપર બેસાડયા હતા. જ્યારે થોડે દૂર બીજા 2 પેસેન્જર પાલડી જવા માટે રિક્ષામાં બેઠા હતા. રિક્ષા પાલડી મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે આવતા ચાલકે દિનેશભાઈ અને જ્યોત્સનાબહેનને કહ્યું હતું કે આ બંને પેસેન્જરને બાજુની સોસાયટીમાં ઉતારીનેઆવું છું. તમે અહીં ઉભા રહો, હું પાછો આવીને તમને લઈ જવુ છું. તેવું કહીને તેમની બેગો પણ તેમને કાઢી આપી હતી. દિનેશભાઈ અને જ્યોત્સનાબહેને ઘણા સમય સુધી રાહ જોઈ પરંતુ રિક્ષાચાલક પાછો આવ્યો ન હતો. જેથી તેઓ બીજી રિક્ષામાં બેસીને પાલડી જૈન નગર સોસાયટી ખાતે સબંધીના ઘરે ગયા હતા. ત્યાં જઈને તેમને બેગ ખોલીને જોયું તો સામાન વેર વિખેર હતો. જ્યારે બેગમાંથી રોકડા રૂ.18 હજાર અને સોના - ચાંદીના દાગીના મળીને કુલ રૂ.1.50 લાખની ચોરી થઈ હતી. આ અંગે દિનેશભાઈએ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 5 વર્ષમાં રિક્ષામાં મુસાફરો સાથે છેતરપિંડી, લૂંટની ઘટનાઓ વધી ગઈ હતી. આ મામલે પોલીસ તંત્રએ અમદાવાદ શહેરમાં ફરતી રિક્ષાઓનું રજિસ્ટ્રેશન કરાવવાનું નક્કી કર્યું હતું. બાદમાં શહેરમાં 2 લાખથી વધુ રિક્ષાઓનું રજિસ્ટ્રેશન થયું છે. ત્યારે શહેરમાં રેલવે સ્ટેશન વિસ્તારમાંથી રિક્ષામાં બેસેલા મુંબઈના દંપતી સાથે લૂંટની ઘટના બનતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. મણિનગર રેલવે સ્ટેશનથી પાલડી મહાલક્ષ્મી ચાર રસ્તા સુધીના વિસ્તારમાં જ રિક્ષા ચાલકે સાગરિતો સાથે મળીને આયોજનબદ્ધ રીતે દંપતીના સામાનમાંથી દાગીના સહિતની મત્તા ચોરી હતી. મુંબઈનું દંપતી મણિનગરથી પાલડી સંબંધીને ત્યાં જવા રિક્ષામાં બેઠું હતું
હુમલો:શેલાથી મર્સિડીઝમાં બેસી નરોડા ઓફિસ જતા બિલ્ડર પર હુમલો
ઘરેથી મર્સિડીઝ લઈને નીકળેલા બિલ્ડરને રોકી કેટલાક લોકોએએ લોખંડની પાઈપ સહિતના હથિયારથી હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યા હતા. એટલું જ નહીં જાનથી મારી નાખવાની ધમકી આપીને આ લોકો ફરાર થઈ ગયા હતા. બિલ્ડરે જમીન, કોર્ટ કેસનું કામ ચાલતું હોવાથી તેની અદાવત રાખીને હુમલો કરાયો હોવાની શંકાના આધારે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. શેલાના નંદનબાગમાં રહેતા હેમાંગ ભટ્ટ જમીન દલાલી અને ગેલેક્ષી ગ્રૂપ કન્સ્ટ્રક્શનના વેપાર સાથે સંકળાયેલા છે. તા.13મીએ સવારે મર્સિડીઝ કારમાં ડ્રાઇવર સાથે નરોડાની ઓફિસે જવા નીકળ્યા હતા. ડ્રાઇવરે કાર સોસાયટીમાંથી બહાર કાઢી ત્યારે નંદનબાગ રોડ ચાર રસ્તા પાસે સ્વિફ્ટ ગાડીના ચાલકે ગાડી ભટકાવી હતી. સ્વીફ્ટ ગાડીમાંથી ઉતરેલા બે શખ્સોએ લોખંડની પાઇપથી હેમાંગભાઇ પર હુમલો કર્યો હતો. દરમિયાનમાં અન્ય એક ગાડીમાં ચારેક શખ્સોએ લાકડી અને લોખંડની પાઇપથી હેમાંગભાઇને આડેધડ મારીને લોહીલુહાણ કરી નાખ્યા હતા. કેટલાક શખ્સોએ ડ્રાઇવરને પકડી રાખ્યો હતો અને ડ્રાઇવર શેઠને બચાવવા વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો. બાદમાં જાનથી મારી નાખવાની ધમકી આપી આ લોકો ભાગી ગયા હતા. હેમાંગભાઈને જમીન તથા કોર્ટમાં કેસોનું કામ ચાલતું હોવાની અદાવતમાં હુમલો કરાયો હોવાની શંકા જતા તેમણે આ મામલે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વસ્ત્રાપુરના પંચમ એપાર્ટમેન્ટમાં રહેતા દિનેશભાઈ ગેહલોત અને પત્ની સરોજબહેન 13મીએ ચાલવા નીકળ્યા હતા. રાતે 9.30 વાગ્યે માનસી સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન પકવાન ચાર રસ્તા બાજુથી બાઈક પર 2 સ્નેચર આવ્યા હતા. સ્નેચરે સરોજબહેનનો દોરો તોડવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેમણે દોરો પકડી પડી ગયાં હતાં. સાથે સ્નેચર પણ પડી ગયો હતો. પડી ગયેલા સ્નેચરને દિનેશભાઈ તેમજ અન્યોએ પકડી લીધો હતો. જાણ કરાતાં આવેલી વસ્ત્રાપુર પોલીસે વિજય લુહારની ધરપકડ કરી હતી. જ્યારે ભાગી ગયેલો હાર્દિક ચૌહાણ પણ પકડાઈ ગયો હતો.
વિલંબ બાદ સંગઠન માળખું જાહેર થયું:અમદાવાદ શહેર ભાજપ સંગઠનમાં 7 નગરસેવકો, ટિકિટ કપાઇ શકે છે
અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહે લાંબા વિલંબ બાદ પોતાનું સંગઠન માળખું જાહેર કર્યું છે. આ નવા સંગઠનમાં 7 વર્તમાન નગરસેવકોનો સમાવેશ કરાયો છે. આ કારણથી હવે આગામી મહાનગર પાલિકાની ચૂંટણીમાં આ હોદ્દેદારોની ટિકિટ કપાઇ જશે તેવી આશંકા રહેલી છે. આ હોદ્દેદારોમાં મહામંત્રી તરીકે જશુ ઠાકોર, ઉપપ્રમુખ તરીકે ભાસ્કર ભટ્ટ, પ્રવીણ પટેલ, હીરાભાઇ પરમાર, બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે પાલિકાના શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ, અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખ તરીકે રમેશ રાણા તથા અનસૂયા પટેલને મંત્રી બનાવાયાં છે. આ નિમણૂકો થયાં બાદ ભાજપના ઘણાં બધાં સાઇડલાઇન કરાયેલા સિનિયર નેતાઓના વિસ્તારના લોકોને પ્રતિનિધિત્વ નહી મળ્યાનો અસંતોષ ફાટી નિકળ્યો છે, જ્યારે હાલ સંગઠનમાં સક્રીય નેતાઓના વિશ્વાસુ લોકોને સમાવી લેવાયા હોવાની વાત પણ નારાજગી ઊભી કરનારી સાબિત થાય તેમ છે. મહામંત્રી પદ પર ભાજપે બ્રાહ્મણ, લેઉવા પટેલ અને ઓબીસી સમાજનું સમીકરણ તૈયાર કર્યું છે. તે પૈકી દર્શક ઠાકરને અગાઉ સંગઠનમાં પદ હોવા છતાં તેમને માત્ર શહેર પ્રમુખ પ્રેરક શાહના હઠાગ્રહને કારણે મહામંત્રી બનાવી દેવાયા હોવાની વાતે ઘણાં લોકો નિરાશ છે. અમિત શાહ- ભૂપેન્દ્ર પટેલના વિસ્તારની બાદબાકીજાહેર કરાયેલા સંગઠનના આ નામોમાં વોર્ડ દીઠ સંતુલન જળવાયું હોવાનો દાવો કરાયો છે, પરંતુ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જ્યાંના મતદાર છે તે નારણપુરા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના થલતેજ વોર્ડના એકપણ ચહેરાને નવા સંગઠનમાં સમાવાયા નથી. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની દૃષ્ટિએ જોઇએ તો પશ્ચિમ કરતાં પૂર્વ વિસ્તારના વોર્ડના હોદ્દેદારોને વધુ તક મળી હોવાનું સ્પષ્ટ દેખાય છે.
વિરોધપક્ષના નેતાએ વ્યંગ કર્યો:મ્યુનિ.નું બજેટ 1.30 લાખ કરોડનું પણ ચોખ્ખું પાણી અપ્રાપ્ય: કોંગ્રેસ
અમદાવાદ મ્યુનિસિપ કોર્પોરેશનનું ચાલુ વર્ષે સુધારા સાથે 18518 કરોડનું બજેટ મંજુરી માટે મુક્યુ છે, ત્યારે તેમાં 922 કરોડના સુધારા સુચવતા વિરોધપક્ષના નેતા શહેજાદખાન પઠાણે વ્યંગ કર્યો હતો કે, છેલ્લા 20 વર્ષમાં મ્યુનિ.એ પોતાના બજેટનું કદ વધારીને 1.30 લાખ કરોડ કર્યું છે, પરંતુ હજુ પણ નાગરિકો શુદ્ધ પાણી માટે પણ તરસે છે. 24 કલાક પાણી આપવાની જાહેરાત પછી પણ અનેક વિસ્તારોમાં 1 કલાક પણ પાણી આપી શકતા નથી. શહેરના પોશ વિસ્તારમાં પણ પાણી ભરાઇ રહે છે. ભાજપના રાજમાં છેલ્લા 5 વર્ષમાં ભરતી કૌંભાંડ, હાટકેશ્વર બ્રિજ કૌભાંડ, ખારીકટ કેનાલમાં કૌભાંડ, રસ્તાઓ તૂટી જવા, ગેરકાયદે ક્લિનિકલ ટ્રાયલ સહિત અનેક ગેરરીતિઓ સામે આવી છે, ત્યારે આ અંદાજપત્રમાં તેમણે કેટલાંક પ્રજાલક્ષી કામગીરી કરવા માટે સુધારા રજુ કર્યા છે. તેમણે તમામ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની લાઇન, રિવરફ્રન્ટ પર હાઇટેક શાળા અને લાયબ્રેરી, ગીચ વિસ્તારમાંથી બીઆરટીએસના કોરીડોર દુર કરવા સહિતની માગ કરી છે. ભ્રષ્ટાચારની તપાસ માટે લોકપાલની નિમણૂક, સ્ટ્રીટ વેન્ડર પોલીસીનો કડક અમલ અને વોટર પોલ્યુશન માટે અલગ બજેટ ફાળવણીની માગ કરી હતી.
બોર્ડની પરીક્ષા:પ્રથમ વાર હોલ ટિકિટ ને પરિણામમાં વિદ્યાર્થીનાં નામ એક જ ફોર્મેટમાં રહેશે
ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા પહેલાં ટૂંક સમયમાં હોલ ટિકિટ આપવાની શરૂઆત થશે. પ્રથમ વાર દરેક વિદ્યાર્થીઓનાં નામ એક જ ફોર્મેટમાં જોવા મળશે. જેમાં પહેલાં વિદ્યાર્થીનું નામ, વચ્ચે પિતાનું નામ અને અંતમાં અટક લખવામાં આવશે. અત્યાર સુધી વિદ્યાર્થીઓના જન્મના દાખલા અથવા વાલીએ લખાવેલા નામને આધારે જ હોલ ટિકિટ અને પરિણામમાં નામ આપતા હતા. જોકે દરેક વિદ્યાર્થીનું નામ એક જ ફોર્મેટ જળવાઇ રહે તે માટે આ નવી વ્યવસ્થા ગોઠવાઈ છે. આ પદ્ધતિના અમલને કારણે રાજ્યનો વિદ્યાર્થી કોઇપણ રાજ્યમાં હવે પોતાના નામ વિશેની અસંમજસતા રહેશે નહીં, સાથે જ નેશનલ કક્ષાનું પણ ફોર્મેટ ફોલો કરાશે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધી મોટાભાગના કિસ્સામાં અટક પહેલા લખવામાં આવતી. જેથી બહારના રાજ્યોમાં નામને પહેલી પ્રાથમિકતા અપાય છે. હવે ગુજરાતીમાં વિદ્યાર્થીઓ માટે અપાર આઇડી પરથી નોંધણી કરાય છે. જેથી હવે વિદ્યાર્થીઓ માટે પણ નામ એક ફોર્મેટમાં જ રાખવામાં આવ્યા છે. જેથી હવે દેશના વિદ્યાર્થીઓની સાથે એક ફોર્મેટમાં જોવા મળશે. આવતા સપ્તાહે હોલ ટિકીટ આપવાનું શરૂ થશેબોર્ડના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આવતા અઠવાડિયાની મઘ્યમાં બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ જાહેર કરાશે. ત્યારબાદ સ્કૂલો પોતાની કાગળની કામગીરી પૂરી કરી વિદ્યાર્થીઓને આપશે. જેથી વિદ્યાર્થીઓ સમય મુજબ બોર્ડની પરીક્ષા માટેનું કેન્દ્ર અને નામની બાબતો જોઇ શકશે. હોલ ટિકિટમાં નામમાં ફેરફાર હશે તો વિદ્યાર્થી સ્કૂલના માધ્યમથી તેમાં તાત્કાલિક ફેરફાર કરાવી શકશે.
મહા શિવરાત્રી નિમિત્તે રવિવારે શહેરનાં 200થી 1000 વર્ષ જૂનાં ઐતિહાસિક મંદિરોથી માંડીને સુવર્ણજડિત આધુનિક ધામમાં રવિવારે ચાર પ્રહારની પૂજા, ભસ્મ આરતી, મહા રુદ્રાભિષેક, ભસ્મ યાત્રા અને લાખો બિલિપત્ર અર્પણ કરાશે. ચકુડિયા મહાદેવરખિયાલ વિસ્તારમાં આવેલા ચકુડિયા મહાદેવ મંદિરમાં રવિવારે રાત્રે 12 વાગ્યા પછી સવા મણ દૂધનો અભિષેક કરવામાં આવશે. સવા 2 લાખ બીલીપત્ર અર્પણ સાથે બરફના શિવલિંગ દર્શન યોજાશે. કામેશ્વર મહાદેવકામેશ્વર મહાદેવ મંદિરમાં 12 જ્યોતિર્લિંગ સ્થાપનાની વિશેષતા સાથે સવારે 9 વાગ્યે 1.25 લાખ બિલિ અર્પણ થશે અને સાંજે ભસ્મ આરતી યોજાશે. કાશીવિશ્વનાથપેશ્વાઈ સમયથી ચાલતી પરંપરા મુજબ 25 બ્રાહ્મણ ચાર પ્રહારની પૂજા કરશે. સવારે 7 વાગ્યે ભસ્મ આરતી થશે. 7 શિવલિંગ ધરાવતું આ મંદિર 15 હજારથી વધુ ભક્તોને આકર્ષશે. કર્ણમુક્તેશ્વર મહાદેવકોટેશ્વર ખાતેના પ્રાચીન મંદિરમાં 500 વર્ષ જૂના ખાડાવાળા શિવલિંગ પર ચાર પ્રહાર પૂજા અને ચાર આરતી કરાશે. અહીં 25 હજારથી વધુ ભક્તોની હાજરી અપેક્ષિત છે. ચિન્મય મિશન, સેટેલાઇટસવારે 6.30થી 7.30 વાગ્યા સુધી મૃત્યુંજય હવન કરાશે. સવારે 8.30થી બપોરના 12 વાગ્યા સુધી લઘુરુદ્ર, સાંજે 6.30થી 8.30 વાગ્યા સુધી શિવસહસ્રનામ પૂજા, રાત્રે 9.30 વાગ્યાથી ભજન અને મધરાતે 12 વાગ્યે મહાઆરતી ઉતારાશે. અમરનાથ ધામ, રાયસણમંદિર ટ્રસ્ટ દ્વારા હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવે છે અને 13 શિવલિંગ પર રાત્રી દરમ્યાન ચાર પ્રહારની મહાપૂજાનું આયોજન વિશ્વ કલ્યાણ સંસ્થા તરફથી રાખવામાં આવ્યું છે. મહાકાલ મંદિર, સરદારનગરરાત્રે 10.30 વાગ્યાથી ચાર પ્રહરની પૂજા શરૂ થશે. અર્ધરાત્રિએ પૂજા બાદ ભારતવર્ષની સુખ-સમૃદ્ધિ માટે 121 કિલો સાત ધાન્ય અર્પણ કરાશે. અંતમાં સવા ક્વિન્ટલ ફૂલોનો મનોહર સેહરા શૃંગાર કરી મહાઆરતી કરવામાં આવશે. નીલકંઠ મહાદેવ, ઝુલાસણમંદિર ખાતે સવારે માતા પાર્વતીનું મામેરું અને સાંજે 4.30 વાગ્યે ભવ્ય ભસ્મ યાત્રા નીકળશે, જે સ્મશાન સુધી પહોંચી ભસ્મ વિધિ કરશે. અહીં 1008 આહુતિ યજ્ઞ અને 24 કલાક અખંડ ધૂણો મહોત્સવનું આકર્ષણ બનશે. સુરભી શક્તિપીઠ, ભાટદ્વાદશ મહા રુદ્રાભિષેક અને ગોનંદી પૂજન કરાશે. મહોત્સવમાં 3 હજારથી વધુ ભક્તો માટે ગૌશાળાના દૂધ-ઘીથી બનેલો ફરાળી પ્રસાદ આપવામાં આવશે. કામનાથ મહાદેવ, રાયપુરકામનાથ મહાદેવ મંદિર ખાતે સોમનાથ જેવી રચનામાં વિશેષ ભોગ અને આરતી સાથે 15 હજાર ભક્તો દર્શન કરશે.
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:સાબરમતીમાં ખનન કરવા ભૂમાફિયાએ નાળા ગોઠવી 600 મીટર લાંબા રસ્તા બનાવી દીધા!
અમદાવાદ જિલ્લામાં દસક્રોઈ, ધોળકાના 10 ગામોમાંથી પસાર થતી સાબરમતી નદીનું વહેણ રોકી ખનન કરવા ભૂમાફિઓએ નદીમાં ગેરકાયદે નાળા બનાવી 600 મીટરના પાળા અને રસ્તા બનાવી દીધા છે. દિવ્યભાસ્કરના ઇન્વેસ્ટીંગેશનમાં દસ્ક્રોઇના નવાપુરા, મિરોલી અને ટીંબામાં નદીપટ્ટમાં આવા રસ્તા બનાવી ભૂમાફિયાઓ 5 વર્ષ 40 હેક્ટરમાંથી 29 હેક્ટરમાં માટી ચોરી ગયાનું સામે આવ્યું છે. રાજ્યમાં ખનીજ ચોરી પકડવામાં ટોપ-5માં આ વર્ષે અમદાવાદ જિલ્લાનો સમાવેશ થાય છે. ખાણ ખનીજ વિભાગની ટીમે આ વર્ષે 506 કેસ કરી, રૂ.10.16 કરોડની દંડ વસૂલાત પણ કરી છે. પરંતુ ભૂમાફિયાઓની આ નવી મોડસ ઓપરેન્ડી જોઇનેઅધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. કેમ કે, ખાણ ખનીજ વિભાગને લીઝધારકો પાસેથી વર્ષે રૂ.51.1 કરોડની આવક સામે ગેરકાયદે નદીમાં રસ્તા બનાવી થતું ગેરકાયદે ખનન અનેકગણું જણાઇ રહ્યું છે. તાજેતરમાં નવાપુરા, ટીંબામાં ગેરકાયદે 4થી વધુ નાળા બનાવી 600 મીટરના ગેરકાયદે બનાવેલા પાળા (રસ્તા) તોડી દીધા હતા. પરંતુ હજુ દસ્ક્રોઇ અને ધોળકાના સરોડા, મહીજડા, નવાપુરા, પાલડી કાંકજ, નવાપુરા, મીરોલી, ટીંબા સહિતના ગામોમાં સાબરમતીનું ખુલ્લેઆમ ચીરહરણ થઇ રહ્યું છે. આ વિસ્તારમાંથી નીકળતી સાદીમાટીનું બનાસકાંઠા અને પાટણની ગુણવત્તાયુક્ત માટી સાથે મિશ્રણ કરી બાંધકામમાં ઉપયોગ કરવામાં આવે છે. જેના ભાવ પણ ઉંચા મળે છે. ખાણ ખનીજ વિભાગના સરકારી વાહનોની વોટ્સએપથી રેકી કરવામાં આવે છેઅમારી 5 સભ્યોની ટીમ ખાનગી કારમાં રેડ કરવા જાય છે. જેમાં 3 માઇન સુરપાઇઝર, 2 રોયલ્ટી ઇન્સ્પેક્ટર છીએ. સરકારી કાર ઓફિસેથી નીકળે ત્યાં જ ભૂમાફિયાઓના વોટ્સએપ ગ્રૂપમાં મેસેજ ફરતા થઇ જાય છે. પોલીસ, આરટીઓ તમામના આવા ગ્રૂપ ચાલે છે. > અભય વાઢેર, રોયલ્ટી ઇન્સ્પેક્ટર, ખાણ ખનીજ વિભાગ આ વર્ષે સરકારી કામગીરી પર ત્રણ હુમલા, ખનીજ ચોરીના કેસ પણ વધ્યાઅમદાવાદ જિલ્લા ખાણ-ખનીજ વિભાગ દ્વારા ગત વર્ષની સાડા 9 કરોડની વસૂલાત સામે આ વર્ષે 506 કેસ કરી રૂ.10.16 કરોડની વસૂલાત કરવામાં આવી છે. ડ્રોન સર્વેલન્સ સમયે ભૂમાફિયાને ભાગવાનો સમય મળી જતો હોવાથી ટીમને હુમલાનો પણ ભોગ બનવું પડે છે. આ ગામોમાં નદીનું બેફામ ચીરહરણસરોડા, મહીજડા, નવાપુરા, પાલડી કાંકજ, નવાપુરા, મીરોલી, કુહા, દેવડી, સહીજ, કમોડ સર્કલ અને બાકરોલ સર્કલ નજીક ખેડૂતોએ બનાવેલા રસ્તા, નદીની અંદર જવા નાળા, માટીના પાળા બનાવી એક્સકેવેટર મશીનો દ્વારા ખોદકામ કરી રેતી સગેવગે કરવામાં આવે છે.
ભાસ્કર એક્સપોઝ:24 મીટર રોડ પરના જે પ્લોટમાં ઓડિટોરિયમ બનાવાનું હતું તે પૂર્વ ધારાસભ્યને આપી દીધો
ન્યૂ રાણીપમાં 24 મીટર રોડ પરના જે પ્લોટ પર લોકો માટે ઓડિટોરિયમ બનાવાનું આયોજન હતું તે પ્લોટ પૂર્વ ધારાસભ્ય અરવિંદ પટેલ (દલાલ)ની કંપનીને ફાળવી દેવાયો છે. આ પ્લોટ પૂર્વ ધારાસભ્યની કંપનીને ફાળવી દેવાના વિવાદાસ્પદ નિર્ણયને કારણે એક તરફ જમીનધારકને કરોડોનો ફાયદો થશે, બીજી તરફ ન્યૂ રાણીપ વિસ્તારને મળનારા ઓડિટોરિયમનું બાળ મરણ થઈ ગયું છે. સરવે એફપી 145ની મૂળ જગ્યા ઋતુ બંગલો નજીક રેલવે અંડરપાસ તરફ હતી. જ્યાં ઓડિટોરિયમ બનાવવાનું આયોજન શક્ય ન હતું. બાદમાં રાણીપ વોર્ડમાં આવેલા ફાઇનલ પ્લોટ નં. 309-1 અને 309-2ના પ્લોટને ઓડિટોરિયમ બનાવવા માટેફાળવાયો હતો. આ અંગેની વહીવટી મંજૂરી મળ્યા બાદ 2024-25માં તે જગ્યા ઓડિટોરિયમ માટે ફાળવવાનો નિર્ણય કરાયો હતો, જે માટે રૂ. 20 કરોડની ફાળવણી પણ કરાઈ હતી. બાદમાં ચેનપુર ગામની હદમાં આવેલા સરવે નં. 52ને નગર રચના અધિકારી દ્વારા એફપી 309-1ને ફાળવી દેવાનો નિર્ણય કરાયો હતો, જે જગ્યા યાશી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે 7-12માં બોલે છે ત્યારે આ જગ્યા ફાળવી દેવાતાં હવે ઓડિટોરિયમ બનવું મુશ્કેલ છે. ધારાસભ્યો, કોર્પોરેટરો ઓડિટોરિયમ માટે પૂછતા હતા, સંકલનમાં પણ પ્રશ્ન પુછાતોએક સમયે જ્યારે ધારાસભ્ય, કોર્પોરેટર પણ આ સ્થળે ઓડિટોરિયમ ક્યારે બનશે તેની સતત પૃચ્છા મ્યુનિ.ના અધિકારીઓને કરતા હતા. સંકલનમાં પણ ધારાસભ્ય આ બાબતે વારંવાર પૂછપરછ કરતા હતા. અંતે કમિશનરે સ્પષ્ટતા કરવી પડી હતીવારંવાર ધારાસભ્યો, કોર્પોરેટરો દ્વારા પૂછવામાં આવતાં અંતે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ સ્પષ્ટતા કરી હતી કે, જીડીસીઆરના નિયમ પ્રમાણે 18 મીટર કે તેથી પહોળા રસ્તા પર જ ઓડિટોરિયમ બનાવી શકાય. જ્યારે હવે પ્લોટના ફેરફારને કારણે હવે આ પ્લોટ 12 મીટરના રસ્તા પર આવી જતાં ત્યાંથી ઓડિટોરિયમમાં પ્રવેશ શક્ય નથી, જેથી હવે આ સ્થિતિમાં ઓડિટોરિયમ શક્ય નથી. બિલ્ડરને કેવી રીતે ફાયદો? 24 મી.ના રોડ પર 25 માળની સ્કીમ બની શકે જંત્રી વધુ છતાં ફેરફાર: ચેનપુરની જમીનનો એફપી રાણીપ ગામના પ્લોટમાં આપી દેવાયો. ચેનપુરની જંત્રી ઓછી હોવાથી, રાણીપની જંત્રી વધુ હોવા છતાં આ ફેરફાર થયો. ફાળવણી નિયમ અનુસાર થઈ છેમારા સરવે નંબરમાં જ મને ફાઇનલ પ્લોટ આપ્યો છે. કોઈ ગામ ફેર કરવામાં આવ્યો નથી. આ ફાળવણી નિયમો અનુસાર થયેલી છે. — અરવિંદ પટેલ (દલાલ), પૂર્વ ધારાસભ્ય
SIRની કામગીરી:નામ કમી થવા છતાં કલેક્ટર સમક્ષ માત્ર સાતે જ અપીલ કરી
એસઆઇઆરની પ્રક્રિયામાં જે મતદારોના નામ સુનવણી બાદ પણ કમી કરી દેવાયા તેઓને નામ જોડાવવા માટે પ્રથમ અપીલ અધિકારી તરીકે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ અપીલ કરવાનો એક મોકો મળે છે. અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ અત્યાર સુધી માત્ર સાત મતદારોએ નામ જોડાવવા માટે અરજી કરી છે. મતદારોએ નામ જોડાવવા માટે અપીલમાં નથી જતા તેનું મુખ્ય કારણ છે કે લોકોમા પ્રથમ અપીલના અધિકારને લઇને જાગરૂકતા ન હોવાના કારણે તેનો ઉપયોગ કરતા નથી. જો તેઓ પ્રથમ અપીલ અધિકારીના સુનાવણી પછી પણ સંતુષ્ટ ન હોઇ શકે અને બીજી વખત અપીલ કરવી હોય તો રાજ્ય ચૂંટણી અધિકારી સમક્ષ પણ અરજી કરી શકે છે. 17 ફેબ્લુઆરીએ ફાઈનલ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. શહેરમાં નામ કમી કરવા 34 હજારથી વધુ અરજી આવીશહેરની તમામ વિધાનસભામાં નામ કમી કરવા માટે 34 હજારથી વધુ અરજી આવી હતી. સૌથી વધુ દાણીલીમડા અંગેની અરજી મણિનગર વિધાનસભામાં સૌથી વધુ 3100થી વધુ અરજી આવી હતી. 17 ફેબ્રુઆરીએ ફાઇનલ ઇલેક્ટોરલ રોલ જાહેર કરાશે. ત્યારબાદ નામ જોડાવવા માટે અરજી કરી શકાશે. ફાઇનલ યાદી જાહેર થયા બાદ પણ લોકો પોતાનું નામ જોડાવવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ અરજી કરી શકશે.
હાઉસ લિસ્ટિંગ શરૂ કરાશે:એપ્રિલથી ઘરની ગણતરી, મકાન પોતાનું કે ભાડે એવાં પ્રશ્ન પુછાશે
વસતી ગણતરીની તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ સહિત રાજ્યભરમાં આગામી 1 એપ્રિલથી મકાનોની ગણતરી (હાઉસ લિસ્ટિંગ) શરૂ કરાશે. કલેક્ટર કચેરી દ્વારા આ પ્રક્રિયા માટે વહીવટી માળખું તૈયાર કરી દેવાયું છે, જેમાં બે નાયબ કલેક્ટર મોનિટરિંગ કરશે અને તેમના માર્ગદર્શન હેઠળ મામલતદાર તેમજ આસિસ્ટન્ટ ટીડીઓ કક્ષાના અધિકારીઓ સુપરવિઝન કરશે. આ કામગીરી માટે વિવિધ ઝોન બનાવીને કર્મચારીઓને માસ્ટર ટ્રેનિંગ અપાશે. પ્રથમ તબક્કામાં એપ્રિલથી સપ્ટેમ્બર સુધી માત્ર ઘરની ગણતરી કરાશે. આગામી વર્ષે ફેબ્રુઆરીથી બીજા તબક્કામાં વસતી ગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે. 1 એપ્રિલથી અમદાવાદ સહિત રાજ્યમાં પ્રક્રિયા શરૂ થશે આ પ્રકારના પ્રશ્નો પુછાશે
ગુજરાત હાઈકોર્ટમાં જૂના કેસના ઝડપી નિકાલ માટે શનિવારે રજાના દિવસે પણ ન્યાયમૂર્તિઓ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન 18 વર્ષ જૂના એક પતિ-પત્નીના લગ્ન વિચ્છેદનો કેસ લગ્નનાં 35 વર્ષે સુખદ સમાધાન લઈને સામે આવ્યો છે. લગ્નનાં થોડાં વર્ષોમાં જ એકબીજાને છૂટાછેડા આપી દીધા બાદ પતિએ કોર્ટે નક્કી કર્યા મુજબ ભરણપોષણ આપવાનું બંધ કર્યું હતું. આથી પત્નીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ 18 વર્ષ સુધી પત્નીનો કોઈ પત્તો મળ્યો નહોતો. છેવટે 85 વર્ષીય પતિએ તેમની પત્નીને શોધવા પ્રયત્ન કરતા તે મહુવામાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાતી હોવાની ભાળ મળી હતી. આથી પતિ તાત્કાલિક તેને ગાંધીનગરમાં પોતાના ઘરે લઇ આવ્યા હતા. ઘરે જ આઈસીયુ બનાવીને 24 કલાક માટે પત્નીની કાળજી રાખી શકે તેવી નર્સની વ્યવસ્થા કરી હતી. અંતે 27 મહિના સુધી કોમાની અવસ્થામાં રહ્યા બાદ અચાનક પત્ની ભાનમાં આવ્યાં હતાં. તેમની નજર સામે પતિને જોતા તે ચોધાર આસંુએ રડી પડ્યાં હતાં. છેવટે પત્ની સાજી થતાં તેમણે કોર્ટમાં સોગંદનામુ કરીને કેસ પાછો ખેંચવા દાદ માગી હતી. છેવટે હાઈકોર્ટે 18 વર્ષે લગ્ન વિચ્છેદના આ કેસનો નિકાલ કર્યો છે. પત્નીને ગાયે શીંગડું મારતા કોમામાં સરી પડી હતીગાંધીનગરમાં નિવૃત્ત સરકારી અધિકારીએ પત્ની સાથેના લગ્ન વિચ્છેદ બાદ કોર્ટના આદેશ મુજબ ભરણપોષણ આપવાનું પણ બંધ કરી દીધું હતું. તો બીજી તરફ પત્નીની આર્થિક સ્થિતિ બગડતા તેણે નોકરી કરવાનું શરૂ કર્યું હતું. પત્ની ગાંધીનગર છોડીને મહુવાના ગામમાં ખાનગી સ્કુલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી. થોડાં વર્ષો પછી એક દિવસ પત્નીને ગાયે શિંગડું મારતા તેમને પેરાલિસીસ થયો હતો. શરૂઆતમાં પત્નીએ પતિ પાસેથી ભરણપોષણ બંધ થતા હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસ 18 વર્ષથી હાઇકોર્ટમાં પડતર હતો, પરંતુ પત્ની હાલ હાઈકોર્ટના જૂના કેસના ઝડપથી નિકાલ થાય તેવા પ્રયાસના સ્વરૂપે આ કેસ સુનાવણી પર આવ્યો ત્યારે સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થયો હતો. પતિ તરફે વકીલે કોર્ટને જાણ કરી હતી કે તેમની પત્ની ક્યાં રહે છે તે શોધતા અનેક પ્રયત્નો કર્યા, પરંતુ મળ્યાં નહોતાં. છેવટે પત્નીના ગામની કોઈ વ્યક્તિએ તેમની પત્ની જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી હોવાની જાણ કરી હતી. આથી પતિ 85 વર્ષીય પત્નીને પોતાને ઘરે લઈ આવ્યા હતા અને ઘરમાં જ સારવારની વ્યવસ્થા ઊભી કરી દીધી હતી.
શહેરના એક ગેસ્ટ્રો સર્જને રાજ્યમાં પ્રથમવાર ટેલી-રોબોટિક સિસ્ટમ દ્વારા અમદાવાદથી 1 હજાર કિલોમીટર દૂર દિલ્હીથી અમદાવાદની હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં રહેલી મહિલા દર્દીના પિત્તાશય દૂર કરવાની સફળ સર્જરી કરી છે. સ્વદેશી કંપની એસએસઆઈ મંત્રા વિકસિત 3.0 દ્વારા તૈયાર કરાયેલા રોબોટ પ્લેટફોર્મની મદદથી કરાઈ છે. આ સર્જરી સુરક્ષિત અને હાઈ-સ્પીડ ડેડિકેટેડ નેટવર્ક દ્વારા રિયલ-ટાઈમ ડેટા ટ્રાન્સમિશન સાથે કરાઈ હોવાનું ડોકટર જણાવી રહ્યાં છે. શહેરની કાઇઝેન હોસ્પિટલના ડિરેક્ટર અને ગેસ્ટ્રો સર્જન ડો. સંજીવ હરિભક્તિ જણાવે છે કે, અમે 20 મહિનામાં 250 રોબોટિક સર્જરી કરી છે, પરંતુ રાજ્યમાં પ્રથમવાર 11 ફેબ્રુઆરીએ દિલ્હીથી અમદાવાદની હોસ્પિટલમાં દાખલ દર્દીની લોન્ગ ડિસ્ટન્સ ટેલી-રોબોટિક સર્જરી કરાઈ છે. સર્જરીમાં ખાસ પ્રકારની તૈયાર કરાયેલી રોબોટિક ચેર અને કોન્સોલનો ઉપયોગ કરાયો હતો. જ્યારે અમદાવાદની હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં ઉપલબ્ધ રોબોટની મદદથી મહિલા દર્દીની 1 કલાકની સર્જરીમાં પિત્તાશય કઢાયું હતું. જોકે ટેલી-રોબોટિક સર્જરી પહેલાં 3 વાર ટ્રાયલમાં ઇન્ટરનેટ કંપની, હોસ્પિટલનો આઈટી સ્ટાફ, સર્જન-નર્સિંગ ટીમ હાજર રહ્યાં હતાં. ટેલી રોબોટિક સર્જરી કેવી રીતે થાય છે?ટેલી રોબોટિક સર્જરીમાં સર્જન દર્દી પાસે પ્રત્યક્ષ હાજર ન હોવા છતાં રોબોટિક સિસ્ટમની મદદથી દૂરથી ઓપરેશન કરે છે. ઓપરેશન થિયેટરમાં રોબોટિક મશીન દર્દી પાસે રખાય છે. જ્યારે સર્જન હોસ્પિટલથી બીજા શહેરમાંથી ખાસ કન્સોલ પર બેસીને થ્રી ડી કેમેરાથી મળતી ખાસ પ્રકારના નેટવર્ક ટુ વે ઇન્ટરનેટ ફાઇબરની મદદથી તસવીરો, વીડિયો જોઈને સર્જન પોતાના હાથની હલનચલનથી રોબોટને કંટ્રોલ કરીને સર્જરી કરે છે. આ સર્જરીમાં 1 સેમીથી નાના ચારથી પાંચ કી-હોલ કરાતા હોવાથી ઓછી ચીરફાડ, ઓછો રક્તસ્રાવ, ઓછો દુખાવો, ઇન્ફેક્શનનો દર નહિવત્ હોય છે. ભાસ્કર નોલેજટેલી રોબોટિક પ્રકારની સર્જરીમાં સમયનું ગણિત એટલે લેટન્સીદિલ્હીમાં બેઠેલા ડોક્ટર કોન્સોલની મૂવમેન્ટ કરે તે મુજબ અમદાવાદમાં રોબોટ હલનચલન કરે છે. આ બંને વચ્ચેનો સમય એટલે લેટન્સી. માનવ મગજ અને હાથ વચ્ચેનો પ્રતિક્રિયા આપવાનો સમય સામાન્ય રીતે 150–200 મિલીસેકન્ડ હોય છે, પરંતુ આ સર્જરીમાં લેટન્સી 100 મિલી સેકન્ડથી ઓછી રખાઈ હતી. જો આ વિલંબ 300 મિલી સેકન્ડથી વધે તો ડોક્ટરને ગભરાટ કે ડિજિટલ મોશન સિકનેસ થઈ શકે.
કલાયમેટ ચેન્જની અસર:ઉનાળાને એક મહિનાની વાર છતાં ગુજરાતના 14 શહેરમાં 32 ડિગ્રીથી વધારે ગરમી નોંધાઈ
રાજ્યમાં આ વર્ષે લા-નીનો, બે વાવાઝોડા સહિતના પરિબળોના કારણે ઉનાળાની શરૂઆત મોડી થશે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 15 માર્ચ પછી ઉનાળાની ગરમીનો પ્રારંભ થશે. જો કે હાલ શિયાળો હોવા છતાં શનિવારે રાજ્યના 14 શહેરમાં 14 ડિગ્રીથી વધારે ગરમી નોંધાઈ હતી. જેમાં રાજકોટમાં 36 તો સુરતમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદ સહિતના વિવિધ શહેરમાં પણ 34 ડિગ્રી આસપાસ તાપમાન રહ્યું હતું. ઓછી કે વધુ ઠંડી, ગરમી અને વરસાદ માટે લા-નીનો અને અલ-નીનો સિસ્ટમ જવાબદાર હોય છે. જેમાં લા-નીનોને કારણે ઠંડી એ વરસાદ વધુ તેમજ અલ-નીનોને લીધે ગરમી વધુ અને વરસાદ ઓછો પડતો હોય છે. ત્યારે હાલમાં પેસિફિક સમુદ્રમાં લા-નીનો સિસ્ટમ સક્રીય હોવાથી 15 માર્ચ પછી અમદાવાદ સહિત રાજ્યમાં ઉનાળો શરૂ થવાની શક્યતા છે. તેમજ મે મહિનામાં અમદાવાદમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા હોવાનું હવામાન વિશેષજ્ઞ જણાવી રહ્યાં છે.શનિવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તો લઘુત્તમ 17.3 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સૌથી વધુ ઠંડી માટે જાણીતા નલિયામાં પણ મહત્તમ 34 ડિગ્રી અને લઘુત્તમ 17 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ‘મે મહિનામાં પારો 45 ડિગ્રીને પાર થઈ શકે છે’આ વર્ષે લા-નીનોની અસરને કારણે અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સામાન્ય કરતાં મોડી થશે. લા-નીનોના કારણે આવતા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જેટ સ્ટ્રીમ અને ગેજાની તથા મીટચેલ વાવાઝોડાની અસરથી રાજ્યના શહેરોમાં સામાન્ય કરતાં વધુ ઠંડક અનુભવાશે. ખાસ કરીને સવાર અને સાંજના સમયે ઠંડક વધારે રહેશે, જ્યારે દિવસ દરમિયાન પણ ગરમીથી થોડું રાહત મળશે. આ ઠંડકની સ્થિતિ 15 માર્ચ સુધી જળવાઈ શકે છે. તેમ છતાં, એપ્રિલ અને મે મહિનામાં ગુજરાતમાં પરંપરાગત રીતે સૌથી વધુ ગરમી પડે છે, અને આ વર્ષે મે મહિનામાં પારો 45 ડિગ્રી કે તેથી વધુ પહોંચી શકે છે. હાલમાં લા-નીનો સિસ્ટમ સક્રિય છે. દરિયાની સપાટીનું તાપમાન પૂર્વ તરફ આગળ વધતા જ અલ-નીનો શરૂ થાય છે, જેથી 15 માર્ચ સુધી ગરમીથી રાહત રહેશે. - એ.ટી.દેસાઈ, હવામાન નિષ્ણાત ગરમી માટે જવાબદાર પરિબળોકલાયમેટ ચેન્જને કારણે વિશ્વકક્ષાએ પૃથ્વીનું સરેરાશ તાપમાન વધી રહ્યું છે. ગ્રીનહાઉસ ગેસ વધવાથી હીટવેવ વધુ તીવ્ર બને છે. અમદાવાદમાં અર્બન હીટ આઇલેન્ડ અસરથી કોંક્રીટ બાંધકામ વધ્યું અને હરિયાળી ઘટી, જેથી તાપમાન 2થી 4 ડિગ્રી વધારે રહે છે. પ્રી-મોન્સૂન વરસાદ ઘટતા જમીન ઝડપથી ગરમ થાય છે. શનિવારે રાજ્યમાં ક્યાં કેટલું તાપમાન (તાપમાનના આંકડા ડિગ્રી સેલ્સિયસમાં) એક્સપર્ટ
બોટાદ જિલ્લાના રંગપર ગામના એક યુવકને આરોગ્ય વિભાગમાં ડેટા ઓપરેટરની નોકરી અપાવવાના બહાને રૂ. 7.47 લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે રાહુલભાઈ સુરેશભાઈ ચાવડાએ માંગરોળ અને કેશોદના એક જ પરિવારના 5 સભ્યો વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આશરે 4 વર્ષ પહેલાં એક સામાજિક પ્રસંગમાં રાહુલભાઈની મુલાકાત આરોપી ડો. આશિષ દાનાભાઈ રાઠોડ સાથે થઈ હતી. આશિષે પોતે માંગરોળ અર્બન હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર હોવાની ઓળખ આપી હતી. સમય જતાં આશિષ અને તેનો પરિવાર રાહુલભાઈના ઘરે અવરજવર કરી ગાઢ સંબંધો કેળવ્યા હતા. ત્યારબાદ આરોગ્ય વિભાગમાં મોટી ભરતી આવવાની છે તેમ કહી, રૂ. 7.50 લાખમાં નોકરી લગાડી દેવાની લાલચ આપી હતી. નોકરીના નામે લાખોની માંગણી આરોપી આશિષે રાહુલભાઈને જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગમાં મોટી ભરતી આવવાની છે, મારી ઓળખાણ છે એટલે ₹7.50 લાખમાં નોકરી કરાવી દઈશ. ફરિયાદીની ઉંમર પૂરી થવા આવી હોવાથી તેમણે વિશ્વાસ રાખી હા પાડી હતી. કટકે-કટકે લાખો રૂપિયા પડાવ્યાનોકરી મેળવવાના આશયથી ફરિયાદીએ એપ્રિલ 2022માં આરોપીઓને રૂ. 1.50 લાખ રોકડા અને અસલ દસ્તાવેજો સોંપ્યા હતા. ત્યારબાદ, વિંછીયા CHC ખાતે જગ્યા ખાલી હોવાનું કહી વધુ 1 લાખ રૂપિયા પડાવ્યા હતા. આટલું જ નહીં, આરોપીઓએ મે-2022 થી જાન્યુઆરી-2023 દરમિયાન અલગ-અલગ બેંક ખાતા અને UPI મારફતે કુલ રૂ. 4.89 લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરાવી હતી. નોકરી અપાવા બોગસ પ્રક્રિયા કરી વિશ્વાસઘાત કર્યોઆરોપીઓએ વિશ્વાસ જીતવા માટે વિંછીયા CHC ખાતે ફરિયાદીને બોગસ ઓર્ડર બતાવ્યો હતો અને ત્યાં રજિસ્ટરમાં સહી કરાવી ફિંગરપ્રિન્ટ પણ લીધા હતા. જોકે, લાંબો સમય વિતવા છતાં નોકરી ન મળતા અને નાણાં પરત માંગતા આરોપીઓએ હાથ ઊંચા કરી દીધા હતા. અંતે, છેતરાયાનો અહેસાસ થતા રાહુલભાઈએ આશિષ રાઠોડ, કમલ રાઠોડ, લક્ષ્મીબેન, પ્રભાબેન અને રસીલાબેન વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.
બોટાદના નામચીન બિલ્ડર આરોપી દિલાવર હમીદે તેના સગા કાકાના ઘરે પીધેલી હાલતમાં રિવોલ્વર સાથે જઈ કાકાને ધમકી આપી રૂપિયા 7 કરોડની ખંડણી માંગ્યાની બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ છે. બોટાદમાં 402 યુવાન એપાર્ટમેન્ટ, કરીમનગર પાસે પાળીયાદ રોડ ખાતે રહેતા અને કન્ટ્રકશન અને રીયલ એસ્ટેટનો ધંધો કરતા ફરિયાદી મનસુરઅલી પ્યારઅલી હમીદ ( ઉ.વ.65) એ બોટાદના નામચીન બિલ્ડર તેના ભત્રીજા આરોપી દિલાવર મદદ અલી હમીદ વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, આરોપી દિલાવર મદદઅલી હમીદ ફરિયાદી મનસુરઅલી પ્યારઅલી હમીદનો સગો ભત્રીજો થાય છે. આરોપી ભત્રીજા દિલાવરે કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ રાખવા તથા અન્ય માલ સામાનની ચુકવણી કરવા ટુકડે ટુકડે રૂપીયા 4 કરોડ તેના કાકા મનસુરઅલી પાસેથી રોકડા લીધેલ હતા. જે રકમનો તેના કાકાને એલફેલ અને ઉડાઉ ખોટો હિસાબ આપેલ. ભત્રીજા દિલાવરની નીયત ખરાબ થતા તેના કાકા પાસે નાણાકીય તોડ કરવા સારૂ અવારનવાર મોટી રકમની માંગણી અને બાંધકામ શરૂ રાખવા ખંડણીની માંગણી કરેલ પરંતુ તેના કાકાએ તેને કોઈ રકમ આપેલ નહી તેથી આરોપી દિલાવર હમીર તેના ફરિયાદી કાકા તથા તેના પરીવારજનોને અવારનવાર ધાક ધમકી તથા બીભત્સ ગાળો આપતો હતો. ગત 13 ફેબ્રુઆરી 26ના રાત્રીના 3-00 વાગ્યે દિલાવર હમીદ કાકાના ઘરે રીવોલ્વર લઈને આવેલ અને ઘરના દરવાજાને લાત મારી બોલતો હતો કે ‘બહાર નીકળ, આજે તને પતાવી દેવો છે. આજે તારૂ પુરૂ કરી નાખવું છે’. આમ કહીને રૂપીયા 7 કરોડની ખંડણી માંગેલ અને જેમ ફાવે તેમ બિભત્સ ગાળો દેવા લાગેલ. આ વખતે પાડોશી અકબરભાઈ તથા અન્ય પાડોશીઓ જાગી જતા આ દિલાવર એપાર્ટમેન્ટના પાર્કીંગમાં નીચે જતો રહેલ. અને 112 નંબર ઉપર ફોન કરતા પોલીસની વાન આવી જતા આરોપી દિલાવર નાસી ગયેલ. આમ આરોપી ભત્રીજા દિલાવર હમીદે ગત રાત્રીના 3-00 વાગ્યાના સુમારે ઘરે દારૂ પીધેલી હાલતમાં આવી તેની રિવોલ્વર કાઢી ફરિયાદી કાકા મનસુર અલીને જાનથી મારી નાખવાની ધમકી આપી રૂપિયા 7 કરોડની ખંડણી માંગી ધમકી આપ્યાની બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પિતાના અવસાન બાદ 7 વર્ષનો હતો ત્યારથી કાકાએ ભત્રીજાનો ઉછેર કર્યો હતોપિતાનું સન-1988માં રાજકોટ મુકામે મર્ડર થયેલ ત્યારે આરોપી દિલાવર સાત વર્ષનો હતો ત્યારથી તે અને તેના બીજા ભાઈબહેનો ફરિયાદી મનસુર અલી સાથે રહેલા અને ઉછેર કરેલ છે. સને-2020 જાન્યુઆરી માસમાં મનસુર અલીને હાર્ટએટેક આવેલો અને બીમારીમાં સપડાઇ જતા તેઓએ એવું નક્કી કરેલ કે બોટાદમાં આવેલી તેઓની જમીનો તથા અન્ય મિલકતનો વહીવટ અને વેચાણ અને ડેવલપ કરી વેચાણે આપવા અને તેમાંથી જે નફો થાય તેના 20 % હિસ્સો આપવાનો પાવર ઓફ એટર્ની કરી બોટાદ, જસદણ તથા તાજપરની જે જમીનો હતી તે તેના હવાલે કરી આપેલ હતી.
મંત્રી નરહરિ ઝિરવાળ નોટ- રીચેબલ થયા:કાર્યાલયનો લાંચિયો કારકુન ઝડપાતાં મંત્રી નોટ-રીચેબલ
રાજ્યના ખાદ્ય અને ઔષધ વહીવટ મંત્રી નરહરિ ઝિરવાળ નોટ- રીચેબલ થઈ ગયા છે. મંત્રાલયમાં લાંચ કેસ બાદ, વિપક્ષે ઝિરવાળના રાજીનામાની માગણી કરી છે. ઝિરવાળ નોટ-રીચેબલ બનતાં આ અંગે વિવિધ શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. શાસક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને મંત્રી નરહરિ ઝિરવાળના કાર્યાલયમાં કારકુન રાજેન્દ્ર ધેરંગેની એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)ના અધિકારીઓએ 50,000 રૂપિયાની લાંચ લેવા બદલ ધરપકડ કરી છે. મંત્રી ઝિરવાળ આ બાબતમાં સ્પષ્ટતા કરી છે કે આ પ્રકરણમાં તેમનો કોઈ પણ રીતે સંબંધ બહાર આવે તો તાત્કાલિક રાજીનામું આપી દેશે. પરંતુ વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસે નૈતિક ધોરણે તેમના તાત્કાલિક રાજીનામાની માગણી કરી છે. આ અંગે મળતી માહિતી મુજબ, ઝિરવાળનો ફોન લાગતો નથી. તેઓ આજે કોઈને મળ્યા નથી. તો તેઓ ક્યાં ગયા છે? અને શું કરી રહ્યા છે? તે સ્પષ્ટ નથી. ધરપકડ કરાયેલા કારકુને દાવો કર્યો છે કે તેણે મંત્રી ઝિરવાળના અંગત સહાયકના નિર્દેશ પર લાંચ લીધી હતી. તેથી, એવું માનવામાં આવી રહ્યું છે કે ઝિરવાળ એસીબીના રડાર પર આવી ગયા છે. કદાચ તેથી જ તેઓ નોન- રીચેબલ બની ગયા છે. એવો આરોપ છે કે કારકુન રાજેન્દ્રએ સસ્પેન્ડ કરાયેલું મેડિકલ લાઇસન્સ પુનઃસ્થાપિત કરવા માટે લાંચ માગી હતી. 35 હજાર રૂપિયાની લાંચ લેતી વખતે, એસીબીએ તેને પકડી લીધો. બીજી તરફ, ઝિરવાળ સ્પષ્ટપણે કહ્યું છે કે તેમનો આ લાંચ કેસ સાથે કોઈ સંબંધ નથી. જો આ કેસ સાથે તેમનો કોઈ સંબંધ હોવાનું સાબિત થાય તો 100 ટકા રાજીનામું આપી દેશે. દરમિયાન ઝિરવાળની ઓફિસમાં કારકુનને લાંચ લેતાં પકડવો એ ભાજપનું રાજકીય ષડયંત્ર હોઈ શકે છે. વિરોધીઓ અને સાથીઓને બદનામ કરવા માટે સરકારી યંત્રણાનો ઉપયોગ કરવો એ તેમનો જૂનો ધંધો છે. જે સરકાર પોતે 'ટકાવારી'ના કાદવમાં ડૂબેલી છે તેણે બીજા પર કાદવ ન ફેંકવો જોઈએ. આ ટકાવારીની સરકાર છે. હવે આ બાબતો મંત્રાલયમાં પણ શરૂ થઈ ગઈ છે. કોઈ પણ ઓફિસમાં જાઓ અને ટકાવારીની ગણતરી થાય છે. હવે તે જાહેર થઈ ગયું છે.
હથિયાર મળી આવ્યું:સંભાજીનગરમાં વિધાનસભ્યના કાર્યાલયમાં બેગમાંથી પિસ્તોલ મળી
છત્રપતિ સંભાજીનગરમાં શનિવારે સવારે એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ક્રાંતિ ચોકની વચ્ચે આવેલા ભાજપના વિધાનસભ્ય સંજય કેનેકરના સંપર્ક કાર્યાલયમાં એક બેગમાંથી પિસ્તોલ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ શુક્રવાર સાંજે કોઈ અજાણી વ્યક્તિ બેગ ઓફિસમાં છોડી ગઈ હતી. શરૂઆતમાં, ઓફિસના કર્મચારીઓએ બેગ ત્યાં જ છોડી દીધી હતી, એવું વિચારીને કે કોઈ બેગ ભૂલી ગયું છે. જોકે, સવાર સુધી કોઈએ બેગ માટે સંપર્ક કર્યો ન હતો. તેથી, શંકાને કારણે બેગ ખોલવામાં આવી ત્યારે તેમાં પિસ્તોલ મળી આવી હતી. ઘટનાની માહિતી થતાં વિધાનસભ્ય સંજય કેનેકરે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો અને સમગ્ર ઘટનાની જાણ કરી. પોલીસે તાત્કાલિક ઓફિસમાં દોડી જઈને બેગ અને અંદરની વસ્તુઓ જપ્ત કરી લીધી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, પિસ્તોલ એર ગન છે. જોકે, પોલીસે સુરક્ષાની દ્રષ્ટિથી આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. એર ગન ઓફિસમાં કેવી રીતે અને ક્યારે લાવવામાં આવી, તે કોની છે અને તેનો હેતુ શું હોઈ શકે છે તે જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. છત્રપતિ સંભાજીનગરમાં શનિવારે સવારે એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ક્રાંતિ ચોકની વચ્ચે આવેલા ભાજપના વિધાનસભ્ય સંજય કેનેકરના સંપર્ક કાર્યાલયમાં એક બેગમાંથી પિસ્તોલ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ શુક્રવાર સાંજે કોઈ અજાણી વ્યક્તિ બેગ ઓફિસમાં છોડી ગઈ હતી. શરૂઆતમાં, ઓફિસના કર્મચારીઓએ બેગ ત્યાં જ છોડી દીધી હતી, એવું વિચારીને કે કોઈ બેગ ભૂલી ગયું છે. જોકે, સવાર સુધી કોઈએ બેગ માટે સંપર્ક કર્યો ન હતો. તેથી, શંકાને કારણે બેગ ખોલવામાં આવી ત્યારે તેમાં પિસ્તોલ મળી આવી હતી. ઘટનાની માહિતી થતાં વિધાનસભ્ય સંજય કેનેકરે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો અને સમગ્ર ઘટનાની જાણ કરી. પોલીસે તાત્કાલિક ઓફિસમાં દોડી જઈને બેગ અને અંદરની વસ્તુઓ જપ્ત કરી લીધી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, પિસ્તોલ એર ગન છે. જોકે, પોલીસે સુરક્ષાની દ્રષ્ટિથી આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. એર ગન ઓફિસમાં કેવી રીતે અને ક્યારે લાવવામાં આવી, તે કોની છે અને તેનો હેતુ શું હોઈ શકે છે તે જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. આ બાબતની ગંભીર નોંધ લેતાં, વરિષ્ઠ પોલીસ અધિકારી પંકજ અતુલકર ઘટનાસ્થળે પહોંચ્યા. કેનેકર સાથે સીધી ચર્ચા કરી અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી. ઓફિસ પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. બેગ ઓફિસમાં ક્યારે રાખવામાં આવી હતી, તેને કોણ રાખ્યું હતું તે શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઓફિસમાં આવતા-જતા લોકોના રેકોર્ડ અને સંબંધિત દસ્તાવેજોની તપાસ કરીને આગળની તપાસની દિશા નક્કી કરવામાં આવશે.
બાંગલાદેશીઓ ઝડપાયા:મલાડ, વર્સોવા, અંધેરીમાં 21 બાંગલાદેશીઓની ધરપકડ
ભારતમાં ગેરકાયદે રહેતા બાંગલાદેશી નાગરિકો વિરુદ્ધ મુંબઈના વર્સોવા પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. વર્સોવા પોલીસે અંધેરી પશ્ચિમમાં યારી રોડ અને માહિમ પરિસરમાં દરોડા પાડીને કુલ 21 બાંગલાદેશી નાગરિકોની ધરપકડ કરી હતી. આ બધા ગેરકાયદે ભારતમાં દાખલ થઈને કોલકાતાથી સીધા મુંબઈ શહેરમાં પહોંચ્યા હતા એવી માહિતી તપાસમાં જાહેર થઈ છે. દરમિયાન આ સંદર્ભમાં વર્સોવા પોલીસની એટીસી ટીમને બાંગલાદેશી નાગરિકો સંદર્ભે ગુપ્ત માહિતી મળી હતી. આ માહિતીના પગલે વર્સોવા પોલીસની એટીસી ટીમે અંધેરી પશ્ચિમ યારી રોડ પરિસર અને માહિમ પરિસરમાં દરોડા પાડીને 21 બાંગલાદેશી નાગરિકોની ધરપકડ કરી હતી. વર્સોવા પોલીસની આ કાર્યવાહીમાં 18 ટ્રાન્સજેંડર, એક મહિલા અને 2 પુરુષનો સમાવેશ છે. આ આરોપીઓ પાસેથી બાંગલાદેશી નાગરિક હોવાના ઘણાં પુરાવા પોલીસે મેળવ્યા હતા. આ આરોપીઓ સાથે હજી કેટલા બાંગલાદેશી નાગરિકો મુંબઈમાં દાખલ થયા છે, તેમને કોણ મદદ કરતું હતું એ સંદર્ભે પણ વધુ તપાસ જારી છે. બીજી તરફ મલાડ પૂર્વમાં કુરાર પોલીસે પણ આવી જ કાર્યવાહી કરી હતી. એમાં મલાડ પઠાણવાડી પરિસરમાં ચાર બાંગલાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી હતી. આ ચારેય ભારતમાં ગેરકાયદે દાખલ થઈને મુંબઈના મલાડ પઠાણવાડી પરિસરમાં કામ શોધવા આવ્યા હતા.
અજિત પવાર વિમાન દુર્ઘટના:અજિત પવારના મૃત્યુ અંગે શંકાઃ ઉડ્ડયન મંત્રી, અમિત શાહને મેઇલ
રાષ્ટ્રવાદી કોંગ્રેસ શરદચંદ્ર પવારના ધારાસભ્ય રોહિત પવારે અજિત પવારના વિમાન દુર્ઘટનામાં મૃત્યુની નિષ્પક્ષ તપાસની માગણી કરી છે. તેમણે આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, નાગરિક ઉડ્ડયન મંત્રી અને DGCA ને ઈમેલ મોકલ્યો છે. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે મને વિશ્વાસ છે કે અજિત પવારના મૃત્યુ અંગે મારા અને સમગ્ર મહારાષ્ટ્ર માટે ઊભા થયેલા અનેક પ્રશ્નોનો નિષ્પક્ષ રીતે ઉકેલ આવવો જોઈએ. ૨૮ જાન્યુઆરીના રોજ બારામતીમાં વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું મૃત્યુ થયું હતું. રાજ્યના રાજકીય વર્તુળોમાં તેમના અકાળ મૃત્યુ અંગે અનેક શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને, રોહિત પવારે મહારાષ્ટ્ર અને રાજધાની દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને અજિત પવારના મૃત્યુની સંપૂર્ણ તપાસની માગણી કરી છે. આ સંદર્ભમાં તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ મળવાના હતા, પરંતુ મુલાકાત થઈ શકી નહીં. તેથી, તેમણે આ સંબંધમાં અમિત શાહ, નાગરિક ઉડ્ડયન મંત્રી અને ડીજીસીએને ઇમેઇલ કરીને આ બાબતે ફોલોઅપની માગણી કરી છે. રોહિત પવારે આ બાબતે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે, વિમાન દુર્ઘટના અંગે ઘણી શંકાઓ ઊભી થઈ છે અને આ શંકાઓ અને તથ્યો પત્રકાર પરિષદ દ્વારા જનતા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. અમે આ મુદ્દે ગૃહમંત્રી અમિત શાહ, નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ અને DGCAને મળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બેઠક થઈ શકી નહીં. તેથી, અમે ગૃહમંત્રી, નાગરિક ઉડ્ડયન મંત્રી અને DGCAને પ્રેઝેન્ટેશન સાથે અમારી બધી શંકાઓ સાથે એક ઈમેઈલ મોકલ્યો અને તેમને આ દુર્ઘટનાની સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસ કરવા અને તથ્યો જનતા સમક્ષ લાવવા વિનંતી કરી. મને વિશ્વાસ છે કે આ સંદર્ભમાં સકારાત્મક પ્રતિભાવ મળશે અને મારા સહિત સમગ્ર મહારાષ્ટ્ર સામેના ઘણા મુદ્દાઓનું નિષ્પક્ષ રીતે નિરાકરણ લાવવામાં આવશે.
દુર્ઘટના સર્જાઈ:મુલુંડમાં નિમાર્ણાધીન મેટ્રો બ્રિજનો સ્લેબ તૂટી પડતાં એક વ્યક્તિનું મોત, ત્રણ ઘાયલ
મુલુંડ (પશ્ચિમ) વિસ્તારમાં લાલ બહાદુર શાસ્ત્રી (એલબીએસ) રોડ પર સ્થિત જોન્સન એન્ડ જોન્સન કંપની નજીક શનિવારે બપોરે 12.20 વાગ્યે મેટ્રો બ્રિજના પેરાપેટ વોલનો એક ભાગ તૂટી પડ્યો હતો. મુંબઈ ફાયર બ્રિગેડ (એમઅફબી) દ્વારા આ ઘટનાની માહિતી આપવામાં આવી હતી. આ દુર્ઘટનામાં એક જણનું મોત થયું હતું જ્યારે અન્ય 3 ઘાયલને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટના બાદ એમએમઆરડીએ દ્વારા કોન્ટ્રાક્ટરને રૂ. 5 કરોડનો અને કન્સલ્ટન્ટને રૂ. 1 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. દરમિયાન મેયર રિતુ તાવડેએ પણ ઘટનાસ્થળની અને ઘાયલોની મુલાકાત લીધી હતી અને કઠોર કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, મેટ્રો બ્રિજના પેરાપેટ વોલનો અંદાજે 6 ફૂટ બાય 4 ફૂટનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો. આ ભારે સિમેન્ટનો ભાગ નીચે પસાર થઈ રહેલી ઓટોરિક્ષ ા અને ખાનગી સ્કોડા કાર પર પડ્યો હતો, જેમાં બંને વાહનને ભાર નુકસાન થયું હતું. આ દુર્ઘટનામાં મૃત વ્યક્તિની ઓળખ રામધન યાદવ તરીકે કરાઈ છે, જ્યારે 45 વર્ષીય રાજકુમાર ઇન્દ્રજિત યાદવને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો અને તેની હાલત ગંભીર છે. અન્ય બે ઘાયલમાં મહેન્દ્ર પ્રતાપ યાદવ (52) અને દીપા રુહિયા (40)ની સ્થિતિ સ્થિર છે. એમએમઆરડીએએ જણાવ્યું હતું કે સ્લેબ તૂટી પડવાનું કારણ નક્કી કરવા અને બાંધકામ સલામતી પ્રોટોકોલ અને માળખાકીય સ્થિરતાનાં પગલાં તપાસવાનો આદેશ આપવામાં આવ્યો છે. દુર્ઘટનાની જાણ થતાં જ મુંબઈ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ, મેટ્રો ઓથોરિટી, વોર્ડ સ્ટાફ અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાને કારણે તે વિસ્તારમાં ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. અધિકારીના જણાવ્યા અનુસાર આ ઘટના સમયે મેટ્રોનું બાંધકામ ચાલુ હતું ત્યારે પૂરતી સલામતી વ્યવસ્થા હતી કે નહીં તે અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. હાલ સંબંધિત વિભાગ દ્વારા દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા અને સલામતીના નિયમોનું પાલન થયું હતું કે નહીં તેની તપાસ શરૂ કરવામાં આવી છે. એમએમઆરડીએની કડક કાર્યવાહી: દરમિયાન મુલુંડ ફાયર સ્ટેશન નજીક મેટ્રો લાઇન-4 (વડાલા–કસારવડવલી)ના બાંધકામ હેઠળના પિયર પી196 પાસે 14 ફેબ્રુઆરીની આ દુર્ઘટના પછી મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ જણાવ્યું છે કે ઘાયલોની સારવારનો સંપૂર્ણ ખર્ચ એમએમઆરડીએ દ્વારા ઉઠાવવામાં આવશે અને મૃતકના પરિવારને નિયમ મુજબ નાણાકીય સહાય પ્રાથમિકતાને આધારે આપવામાં આવશે. ઘટના બાદ તાત્કાલિક સ્થળને સીલ કરીને સુરક્ષા તપાસ શરૂ કરવામાં આવી છે, અને સંબંધિત વિસ્તારમાં બાંધકામ કામ તાત્કાલિક રોકી દેવામાં આવ્યું છે. ભવિષ્યમાં દુર્ઘટના ટાળવા પગલાં લેવાશેપ્રાથમિક જવાબદારીના આધારે એમએમઆરડીએએ કોન્ટ્રાક્ટર રાજવ મિલાન ઇન્ફ્રા પર રૂ.5 કરોડ અને જનરલ કન્સલ્ટન્ટ ડીબી એન્જિનિયરિંગ, હિલ ઇન્ટરનેશનલ અને લુઇસ બર્જર કન્સોર્શિયમ પર રૂ.1 કરોડનો દંડ ફટકાર્યો છે. તપાસ પૂર્ણ થયા બાદ વધુ કડક કાર્યવાહી, જેમાં બ્લેકલિસ્ટિંગનો પણ સમાવેશ થઈ શકે છે. એમએમઆરડીએએ સ્પષ્ટ કર્યું છે કે, જાહેર સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને જવાબદારી નક્કી કરીને ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા જરૂરી પગલાં લેવામાં આવશે. ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચનાએમએમઆરડીએના એડિશનલ મેટ્રોપોલિટન કમિશનર અશ્વિન મુદગલ સહિતના અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. ઉપરાંત, ડિરેક્ટર (પ્રોજેક્ટ્સ) બસવરાજ એમ. ભદ્રાગોંડની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે, જે અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ કરશે.
સિટી એન્કર:પ. રેલવેમાં 337 કિમી પાટા પર અકસ્માત રોકવા સ્ટીલની જાળી
પશ્ચિમ રેલવે તરફથી વિરાર-અમદાવાદ દરમિયાનના માર્ગ પર રેલવે પાટા પર જાનવરો અને બીજી અડચણ આવવાની ઘટના રોકવા 337 કિમી અંતર પર સ્ટીલના પટ્ટાઓની મજબૂત જાળી ઊભી કરવામાં આવી છે. આ પ્રકલ્પ માટે લગભગ 119 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. રેલવે સુરક્ષા સહિત ટ્રેનના ટાઈમટેબલ પર થતી અસર ઓછી કરવાનો ઉદ્દેશ પ્રકલ્પનો છે એમ એક અધિકારીએ જણાવ્યું હતું. વિરાર સ્ટેશનથી આગળ પાટા નજીક જાનવરો ચરતા હોય છે. અજાણતા આ જાનવરો પાટા પર આવી જતા અકસ્માત થાય છે. અચાનક બ્રેક લગાડવી પડે છે. પરિણામે પ્રવાસીઓની સુરક્ષિતતા જોખમમાં મૂકાય છે. તેમ જ એક્સપ્રેસ ટ્રેન મોડી પડતા ટાઈમટેબલ પર અસર થાય છે. તેથી પશ્ચિમ રેલવેએ પાટા નજીક જાળી ઊભી કરવાની શરૂઆત કરી છે. લગભગ 300 કિલોમીટરના ભાગનું કામ પૂરું થયું છે અને બાકીના 30 કિમી અંતર પર જાળી ઊભી કરવાનું કામ અંતિમ તબક્કામાં છે. પાટા નજીક ઊભી કરવામાં આવેલી જાળી ગેલ્વેનાઈઝ્ડ સ્ટેનલેસ સ્ટીલમાંથી તૈયાર કરવામાં આવી છે. તેથી એને કાટ લાગતો નથી અને લાંબો સમય ટકી શકે છે. અધિકારીએ આપેલી માહિતી અનુસાર આ જાળીનું આયખુ લગભગ 60 વર્ષ સુધીનું છે. તેમ જ પાટાથી લગભગ ચારથી પાંચ ઉંચાઈ હોવાથી આ જાળી ઓળંગવી મુશ્કેલ હોવાથી જાનવરો પાટા પર આવી શકતા નથી. આ જાળી મીટર દીઠ 3400 રૂપિયા દરથી ઉપલબ્ધ છે. તેથી બાઉન્ડરી વોલ કરતા સસ્તી છે. ટ્રેન 160ની સ્પીડે દોડશેરેલવેની આ ઉપાયયોજનાને લીધે અકસ્માતની ઘટનામાં ઘટાડો થશે. તેમ જ જાનવરોના મૃત્યુ પણ ટાળી શકાશે. બાકીનું કામ વહેલાસર પૂરું કરીને ટ્રેનનું ટાઈમટેબલ સુધારશે અને પ્રવાસીઓની સુરક્ષિતતા વધવામાં મદદ થશે એમ રેલવે તરફથી જણાવવામાં આવ્યું છે. આ ઉપાયયોજનાને લીધે ભવિષ્યમાં આ રૂટ પર ટ્રેન કલાકે 160 કિમીની સ્પીડથી ચલાવવાનું લક્ષ્ય પાર પાડવામાં પણ મદદ થશે એમ અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું. અમારા આ માર્ગ પર ટ્રેનની સ્પીડ 160 કિમી રાખવા પાટા સુરક્ષિત કરવાનો અમારો પ્રયતન છે. આ પ્રકલ્પ એનો જ એક ભાગ છે. પાટા નજીક જાળી ઊભી થવાથી રેલવે સંચાલનમાં ઓછી મુશ્કેલી થશે અને જાનવરો પણ સુરક્ષિત રહેશે એમ પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું હતું.
સિટી એન્કર:મિરા-ભાઈંદર ફ્લાયઓવર તબક્કાવાર વાહનવ્યવહાર માટે ખુલશે
મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણે બાંધેલા મિરા-ભાઈંદર ખાતેના ડબલડેકર ફ્લાયઓવરની ત્રયસ્થ સંસ્થા પાસેથી રસ્તા સુરક્ષા તપાસ કરાવવામાં આવશે. એ પછી આ પુલ તબક્કાવાર વાનવ્યવહાર માટે શરૂ કરવામાં આવશે. એ અનુસાર ગોલ્ડન નેસ્ટ સર્કલ આગળના ભાગની એક એક લેન વાહનવ્યવહાર માટે શરૂ કરવામાં આવશે. માર્ચના ત્રીજા અઠવાડિયામાં એક એક લેન શરૂ થાએવી શક્યતા છે.દહિસર-મિરા-ભાઈંદર મેટ્રો-9ના થાંભલાના કારણે મિરા-ભાઈંદર પરિસરમાં રસ્તા સાંકડા થયા છે અને ટ્રાફિકજામની સમસ્યા ઊભી થઈ છે. તેથી ત્યાં ત્રણ ડબલડેકર ફ્લાયઓવર બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો. એ અનુસાર બે ડબલડેકર બાંધીને પૂરા કર્યા અને વાહનવ્યવહાર માટે શરૂ કરવામાં આવ્યા. ત્રીજો પુલ બાંધીને તૈયાર છે. જૂના પેટ્રોલપંપથી ફાટક માર્ગ પરના આઝાદ મેદાન દરમિયાન 1800 મીટર લાંબો આ પુલ છે. આ પુલ શરૂઆતમાં ચાર લેનનો અને પછી બે લેનનો બાંધવામાં આવ્યો હતો. તેથી આ પુલની રચના પર ચારેકોરથી ટીકા થઈ હતી. જો કે હવે આ પુલ તબક્કાવાર શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટીકા થઈ છે છતાં પુલની રચના યોગ્ય છે. 2020-21માં પુલની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી અને એ અનુસાર જ કામ કરવામાં આવ્યાનું એમએમઆરડીએનું જણાવવું છે. પુલની આ રચના હંગામી છે અને મંજૂર રૂપરેખા અનુસાર આ પુલ પશ્ચિમ રેલવે માર્ગ ઓળંગીને આગળ ભાઈંદર પૂર્વ તરફ લઈ જવામાં આવશે.ભાઈંદર પૂર્વ-પશ્ચિમને જોડતો આ પુલ 970 મીટર લાંબો છે. આ પ્રકલ્પ માટે ભૂસંપાદનની જરૂર છે અને એ પછી આ પુલના કામની શરૂઆત થશે. પૂર્વ-પશ્ચિમ જોડાણ પૂરું થયા પછી છત્રપતિ શિવાજી મહારાજ માર્ગ પરનો ટ્રાફિકાજામ ઓછો થવામાં મદદ થશે.
1,627 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ:મુંબઈ પાલિકાની ચૂંટણીમાં 66 ટકા ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત
મુંબઈ મહાપાલિકાની ચૂંટણીના મેદાનમાં ઉતરેલા કુલ 1700 ઉમેદવારોથી 1 હજાર 127 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ છે. એટલે કે 66 ટકા ઉમેદવારોને એટલા ઓછા મત મળ્યા કે તેમની અનામત રકમ પણ જપ્ત થઈ ગઈ. ડિપોઝીટ જપ્ત થયેલા ઉમેદવારોમાં 546 અપક્ષ છે તો રાજકીય પક્ષમાં સૌથી વધુ રાષ્ટ્રવાદી કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ છે. મુંબઈ મહાપાલિકાના 227 પ્રભાગ માટે તાજેતરમાં ચૂંટણી પાર પડી. એના પરિણામ પણ આવી ગયા. આ ચૂંટણીમાં કુલ 1700 ઉમેદવાર ઊભા હતા. એમાં 821 પુરુષ અને 879 મહિલાઓ હતી. ચૂંટણીમાં 29 વિવિધ પક્ષોએ પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા હતા. એમાં મુખ્ય લડત ભાજપ-શિવસેના (શિંદે) મહાયુતિ વિરુદ્ધ શિવસેના (ઠાકરે)-મનસે યુતિ વચ્ચે થઈ હતી. તેથી આ ચાર પક્ષ છોડીને બાકીના તમામ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ ગઈ છે. 227 પ્રભાગ માટે 1700 ઉમેદવાર ઊભા હોવાથી મોટા પ્રમાણમાં ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ.
મહાપાલિકાને મિલકતવેરો નિર્ધારિત સમયમાં ભરવામાં ટાળમટોળ કરતા તેમ જ આર્થિક ક્ષમતા હોવા છતાં મિલકતવેરો નહીં ભરનારા મોટા ડિફોલ્ટરે કલમ 203 અન્વયે માલમતા જપ્તિની નોટિસ ફટકારવામાં આવી છે. જો નોટિસમાં આપેલા સમયગાળામાં લેણાં ચૂકતે નહીં કરાય તો કલમ 204, 205, 206 અન્વયે સૌપ્રથમ માલમતા ચીજવસ્તુ જપ્ત કરીને લિલામ કરાશે. જો તેમાંથી પણ પૈસા વસૂલ નહીં થાય તો કલમ 206 અન્વયે લિલાવ કરવામાં આવશે, એમ નોટિસમાં જણાવવામાં આવ્યું છે.માલમતા કર મહાપાલિકાની આવકનો મુખ્ય સ્રોત છે. આ વેરાનું બિલ અપાયા પછી 90 દિવસમાં તે ચૂકતે કરવાનું હોય છે. જો તેવું નહીં કરતાં તબક્કાવાર કાર્યવાહી શરૂ કરવામાં આવે છે. કર નિર્ધારણ અને સંકલન વિભાગ દ્વારા પ્રત્યક્ષ સંપર્ક અને સંવાદ સાધીને માલમતા વેરો ભરવા માટે ફોલો-અપ કરાય છે. આમ છતાં વેરો નહીં ભરાય તો ડિમાંડ લેટર મોકલવામાં આવે છે. આ પછી માલમતા ધારકને 21 દિવસની અંતિમ નોટિસ અપાય છે, જે પછી માલતા જપ્તિ, લિલામ વગેરે કાર્યવાહી કરવામાં આવે છે. મહાપાલિકા કમિશનર ભૂષણ ગગરાણી, એડિશનલ કમિશનર ડો. અશ્વિની જોશી, જોઈન્ટ કમિશનર વિશ્વાસ શંકરવારના માર્ગદર્શનમાં વેરો વસૂલ કરવા વિવિધ પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ટોપ 20માં મ્હાડા, બિલ્ડરો પણ છેટોપ 20 ડિફોલ્ટરોમાં મ્હાડા પાસે સૌથી વધુ રૂ. 63.21 કરોડનાં લેણાં છે. મેસર્સ રાજહંસ એસોસિયેટ્સના રૂ. 46.05 લાખ, મેસર્સ વિમલ એસોસિયેટ્સના રૂ. 39.09 કરોડ, નેશનલ ઈન્ડસ્ટ્રિયલ કોર્પોરેશનના રૂ. 10.36 કરોડ, નેશનલ ઈન્ડસ્ટ્રિયલ કોર્પોરેશનના રૂ. 10.20 કરોડ, યશવંત એન જાધવ એસએસવી રિયાલ્ટર્સના રૂ. 9.94 કરોડ, અંબિકા સિલ્ક મિલના રૂ. 9.64 કરોડ, મહારાષ્ટ્ર શાસન ભોગવટાદાર સુશીલકુમાર સંભાજી શિંદે પ્રતિષ્ઠાન રૂ. 8.79 રકોડ, ધ વિકટોરિયા મિલ્સ લિ. પ્લાઝા પંચશીલ મિલના રૂ. 8.76 કરોડ, નેશનલ ઈન્ડસ્ટ્રિયલ કોર્પોરેશનના રૂ. 8.08 કરોડ, મહેમદ યુસુફ ખાનના રૂ. 7.64 કરોડ, એએચ વાડિયા ટ્રસ્ટ સ્કાયલિંક ડેવલપર્સના રૂ. 7.56 કરોડ, મેહરુનિસ્સા મહંમદ સહેબ ખતીબના રૂ. 7.33 કરોડ, ધ ન્યૂ સન મિલ કોમ લિ. શુભમ ફેબ્રિકના રૂ. 7.19 કરોડ, જય માતાદી કન્સ્ટ્રકશનના રૂ. 5.79 કરોડ, ટ્રાન્સકોન ટ્રાયમ્ફ ફેઝ 2 પ્રા. લિ.ના રૂ. 5.78 કરોડ, ટ્રાન્સકોન ટ્રાયમ્ફ ફેઝ 2 પ્રા. લિ.ના રૂ. 5.56 કરોડ, નેશનલ ઈન્ડસ્ટ્રિયલ કોર્પોરેશનના રૂ. 5.35 કરોડ, એલ્કો આર્કેડ કોઓફ હાઉસિંગ સોસાયટી ડી વિંગના રૂ. 4.81 કરોડ, ગોલ્ડન રોયલ ટોકીઝના રૂ. 4.22 કરોડનો સમાવેશ થાય છે.
સન્ડે ફોટો સ્ટોરી:આંતરરાષ્ટ્રીય બાળપણ કેન્સર દિવસ પર જાગૃતિ કાર્યક્રમ
આંતરરાષ્ટ્રીય બાળપણ કેન્સર દિવસ નિમિત્તે નારાયણા હેલ્થ એસઆરસીસી ચિલ્ડ્રન્સ હોસ્પિટલ, મુંબઈ દ્વારા વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ખાસ કરીને વહેલું નિદાન, સમયસર ઉપચાર અને પરિપૂર્ણ સંભાળના મહત્ત્વ પર ભાર આપતાં કેન્સર સાથે સંઘર્ષ કરતા બાળકોના સાહસ અને કટિબદ્ધતાની ઉજવણી કરાઈ હતી. થીમ પાવર ચેમ્પ્સ- કેન્સરઃ ફ્રોમ ચેલેન્જ ટુ ચેન્જ રખાઈ હતી. એચઓડી ડો. પૂર્ણા કુરકુરેએ માર્ગદર્શન કર્યું હતું.
સિંધુદુર્ગ જિલ્લાના માટાણે મતવિસ્તારના એક મતદાન મથક પર મતગણતરીમાં વિસંગતતા જોવા મળી છે. નોંધાયેલા મતોની સંખ્યા અને મતદાન મશીન પર પડેલા મતોની સંખ્યા વચ્ચે વિસંગતતા જોવા મળતાં, રિટર્નિંગ ઓફિસર લક્ષ્મણ કાસેકરે ગણતરીના દિવસે સંબંધિત પાંચ કર્મચારીઓને કારણદર્શક નોટિસ ફટકારી છે. આ એક ગંભીર બાબત છે અને કાસેકરે તેમને તેમની સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ તે સમજાવવાનો આદેશ આપ્યો છે. રિટર્નિંગ ઓફિસર લક્ષ્મણ કાસેકર દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં જણાવાયું છે કે જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિ સામાન્ય ચૂંટણી 2026 નમૂના VM-3 (નોંધાયેલ મતોની ગણતરી)માં સચોટ એન્ટ્રીઓ કરવામાં આવી નથી. આ નોટિસ તમને જણાવે છે કે જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિ સામાન્ય ચૂંટણી 2026 (તાલુકો દોડામાર્ગ) માટે, મતદાન મથક પર કેન્દ્ર નં. 50/14 મતાને નિયુક્ત કરવામાં આવ્યા હતા. મતદાન પ્રક્રિયા 7 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થઈ હતી. 9 ફેબ્રુઆરીના રોજ, મતગણતરી દરમિયાન, જ્યારે ટેબલ નં. 6 અને કેન્દ્ર નં. 50/14 મતાને બીજા રાઉન્ડ દરમિયાન ગણતરી માટે આવ્યા, ત્યારે નમૂના VM-3 (નોંધાયેલ મતોની ગણતરી) માં નોંધાયેલા મતોની સંખ્યા અને મતદાન મશીન પર પડેલા મતોની સંખ્યા વચ્ચે વિસંગતતા જોવા મળી. આ મામલો ખૂબ જ ગંભીર છે અને તમારા વિરુદ્ધ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ની કલમ ૧૩૪ અને મહારાષ્ટ્ર જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિ અધિનિયમ, ૧૯૬૧ ની કલમ ૩૪ હેઠળ કાર્યવાહી કેમ ન કરવી જોઈએ? નોટિસ મળતાની સાથે જ આ અંગે લેખિત સમજૂતી મને સુપરત કરવી જોઈએ; અન્યથા, એ નોંધવું જોઈએ કે આગળની કાર્યવાહી એવી રીતે કરવામાં આવશે કે જાણે આ બાબતમાં તમારો કોઈ હાથ ન હોય, અધિકારીઓ દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં જણાવાયું છે. પાંચ કર્મચારીઓ લેખિત મંતવ્યો રજૂ કર્યાકાર્યવાહી અંગે વરિષ્ઠ અધિકારીઓ નિર્ણય લેશે અને ચૂંટણી કાર્યમાં બેદરકારી બદલ કાર્યવાહીનો સામનો કરી રહેલા પાંચ કર્મચારીઓએ લેખિતમાં પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. અમે તેમના મંતવ્યો જિલ્લા સ્તરે મોકલી દીધા છે. તેથી, આગળની કાર્યવાહીનો નિર્ણય વરિષ્ઠો દ્વારા લેવામાં આવશે, એમ સહાયક ચૂંટણી નિર્ણય અધિકારી પ્રજ્ઞા રાજમાને જણાવ્યું હતું.
થાણે કોસ્ટલ રોડનું કામ બન્યું ઝડપીઃ:થાણે કોસ્ટલ રોડનું આઠ મહિનામાં 50 ટકા પાયાનું કામ પૂર્ણ
થાણે કોસ્ટલ રોડનું કામ ઝડપભેર આગળ વધી રહ્યું છે. બાંધકામની શરૂઆત થઈને ફક્ત આઠ મહિનામાં જ થાણે કોસ્ટલ રોડ-1 મહત્ત્વનો તબક્કો પાર પાડ્યો છે. આ પ્રકલ્પના એલીવેટેડ માર્ગની પાયાભરણીના કામમાંથી 50 ટકાથી વધુ પૂર્ણ થયું હોઈ પિયર કેપ અને આય- ગર્ડર ઊભું કરવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. 13.45 કિમી લાંબો, છ લેન, પ્રવેશ નિયંત્રિત ગ્રીનફિલ્ડ માર્ગ અત્યાધુનિક એન્જિનિયરિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઊભો કરવામાં આવી રહ્યો છે. ભારતમાં પહેલી જ વાર ગ્રીનફિલ્ડ રોડ પ્રોજેક્ટમાં જમીન પર મોનોપાઈલ ફાઉન્ડેશન સાથે સિંગલ- પાઈલ, સિંગલ- પિયર પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ ડેડિકેટેડ માલપરિવહન કોરિડોર તરીકે વિકસિત કરવામાં આવી રહ્યો હોઈ ઘોડબંદર રોડ પર ટ્રાફિકની ગીચતા ઓછી કરવામાં અને થાણે ખાડી કિનારા પાસે એનએચ- 160 (મુંબઈ- નાશિક હાઈવે) અને ગાયમુખ વચ્ચે અખંડ રસ્તા જોડાણ ઉપલબ્ધ કરી આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પર્યાવરણની દ્રષ્ટિથી સંવેદનશીલ મેન્ગ્રોવ્સનું સંરક્ષણ કરવા માટે પ્રકલ્પનો મોટો ભાગ ફ્લાયઓવર પર અને પુલ દ્વારા બાંધવામાં આવી રહ્યો છે. ગાયમુખ ખાતે આ માર્ગ પ્રસ્તાવિત ગાયમુખ- ફાઉન્ટન હોટેલ બોગદા સાથે સીધો જોડવામાં આવશે. આ પ્રકલ્પને લીધે ઘોડબંદર રોડ પર ટ્રાફિક મોટે પાયે ઓછો થઈને થાણેની શહેરી ગતિશીલતામાં આમૂલ પરિવર્તન આવશે. આ જ રીતે વાઢવણ બંદર, જેએનપીટી, દક્ષિણ મહારાષ્ટ્ર અને કર્ણાટક પાસ જતું માલ પરિવહન વધુ સક્ષમ બનશે. કોરિડોર થાણે રિંગ મેટ્રો, થાણે કોસ્ટલ રોડ-2, સાકેત- આમણે એલિવેટેડ કોરિડોર અને કાસારવડવલી- ખારબાવ માર્ગ એમ મહત્ત્વના પાયાભૂત પ્રકલ્પો સાથે સીધો જોડવામાં આવી રહ્યો છે, જેને લીધે મુંબઈ મહાનગર પ્રદેશની આગામી પેઢીન સુલભ પરિવહન કનેક્ટિવિટીનો આધાર વધુ મજબૂત બનશે, એમ એમએમઆરડીએ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
લેન્ડ ગ્રેબિંગ:વર્ષો જૂના પાવર ઑફ એટર્નીનો દુરુપયોગ કરી કરોડોની જમીન હડપવાનો આરોપ
ગાંધીનગર જિલ્લાના દંતાલી ગામમાં ખેડૂતો દ્વારા વર્ષો પહેલા આપવામાં આવેલા પાવર ઓફ એટર્નીનો દુરુપયોગ કરી કરોડોની કિંમતની જમીન હડપવાનો કિસ્સો સામે આવ્યો છે. કાયદેસર રીતે ખરીદાયેલી જમીન પર ખોટું બાનાખત બનાવી અને પછી બીજો દસ્તાવેજ કરી વિવાદ ઉભો કરવાનો આરોપ બે શખ્સો પર લાગ્યો છે. અડાલજ પોલીસે તપાસ શરૂ કરી છે. અડાલજ વિસ્તારમાં આવેલા દંતાલી ગામમાં જમીન મામલે કૌભાંડ બહાર આવ્યું છે. ફરિયાદ મુજબ જીગરકુમાર રામભાઈ પટેલે વર્ષ 2019 માં સર્વે નંબર 231 (જૂનો 465) વાળી 8600 ચોરસ મીટર જમીન ખરીદવા ખેડૂતો સાથે વાતચીત શરૂ કરી હતી. આ જમીન સરકારી નિયમોમાં ફસાયેલી હોવાથી તેમણે કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને જમીન ખેતીલાયક કરાવી હતી. ખેડૂતોએ આ જમીન જીગરકુમાર અને તેમના ભાગીદારોને રૂપિયા 1 કરોડ 55 લાખમાં વેચવાનો નિર્ણય કર્યો હતો. જીગરકુમારે નક્કી મુજબની રકમ ચેક દ્વારા ચૂકવી જાન્યુઆરી 2022 માં દસ્તાવેજ નોંધાવ્યો હતો. આ દરમિયાન વર્ષ 2016માં જમીનનું કામ સંભાળતા જયંતિભાઈ અંબાલાલ પટેલ અને મયુરભાઈ બળદેવભાઈ પટેલ પાસે ખેડૂતોના જૂના નોટરાઈઝ્ડ પાવર ઓફ એટર્ની હતા. બંનેએ તેનો ઉપયોગ કરી સપ્ટેમ્બર 2020માં 88.15 લાખનું બાનાખત બનાવ્યુ હતું.
ફરિયાદ નોંધાઈ:પતિએ મહિલા અધિકારીની જાસૂસી કરાવતાં ફરિયાદ
ગાંધીનગરમાં રહેતી એક મહિલા અધિકારીએ પોતાના પતિ વિરુદ્ધ જાસૂસી કરાવવાનો આરોપ લગાવી પોલીસ ફરિયાદ નોંધાવી છે. અલગ રહેતા પતિએ એક યુવકને પત્નીની હિલચાલ પર નજર રાખવા મોકલ્યો હોવાનો ખુલાસો થયો છે. પકડાયેલા યુવકના મોબાઈલમાંથી મળેલા મેસેજના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ગાંધીનગર શહેરમાં રહેતી અને અન્ય જિલ્લામાં તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતી એક મહિલા અધિકારીએ સેક્ટર-21 પોલીસ મથકમાં પોતાના પતિ અને એક યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહિલાના જણાવ્યા પ્રમાણે તેમના લગ્ન વર્ષ 2006માં થયા હતા, પરંતુ છેલ્લા એક વર્ષથી મતભેદોને કારણે તે અને તેનો પતિ જગદીશ બંને અલગ રહે છે અને તેઓ હાલ સેક્ટર-22 વિસ્તારમાં સગાંના ઘરે રહે છે. જગદીશભાઈ વિરુદ્ધ ઘરેલું હિંસા અને છૂટાછેડાના કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે. મહિલાનો આરોપ છે કે કાનૂની કેસમાં દબાણ લાવવા માટે પતિ દ્વારા તેમની સતત જાસૂસી કરાવવામાં આવતી હતી. એક દિવસ સવારે ઘરના નજીક શંકાસ્પદ રીતે ફરતા એક યુવકને પરિવારજનોને શંકા જતા પકડી પાડ્યો હતો. તેનુ નામ નગીન સુથાર છે. નગીન સુથાર નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી કારમાં આવી મહિલાની હિલચાલ પર નજર રાખતો હતો. પૂછપરછ દરમિયાન નગીન સુથારે જણાવ્યું કે મહિલાના પતિએ જ તેને પીછો કરવા મોકલ્યો હતો. પોલીસે તેના મોબાઈલની તપાસ કરતાં જગદીશભાઈ તરફથી મોકલાયેલ “નીકળી” લખેલો વોટ્સએપ મેસેજ મળ્યો હતો, જે જાસૂસીના આરોપને મજબૂત બનાવે છે. મહિલાએ પોલીસને જણાવ્યું કે લાંબા સમયથી તેમની દેખરેખ રાખવામાં આવતી હતી અને તેના કારણે સતત ભયમાં જીવવુ પડે છે. સેક્ટર-21 પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી પતિ અને યુવક વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. સાથે જ આ ઘટનામાં અન્ય કોઈ ગુનાહિત ઇરાદો જોડાયેલો હતો કે નહીં તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. જોકે, પતિ અને પત્ની અલગ રહેતા હોવાથી અને કોર્ટ કેસ ચાલી રહ્યો હોવાથી પતિએ કેમ જાસૂસી કરાવી તે ચર્ચાનો વિષય બન્યો છે.
તંત્રની બેદરકારી ઉઘાડી પડી:સિવિલમાં ઇમરજન્સી એક્ઝિટ પાસે જ ભંગારનો ઢગલો
ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સ્ટોર રૂમમાં જગ્યા ન રહેતા તૂટી ગયેલા બેડ, ખુરશીઓ અને અન્ય જુનો સામાન બેઝમેન્ટમાં રાખવામાં આવ્યો છે. આ વિસ્તાર પાર્કિંગમાંથી નવા ઓપીડી સુધી જવાનો મુખ્ય માર્ગ હોવાથી દર્દીઓ, સગાસંબંધીઓ અને સ્ટાફને અવરજવરમાં મુશ્કેલી પડે છે. ઇલેક્ટ્રિક પેનલની નજીક કાર્ડબોર્ડ અને લોખંડનો સામાન હોવાથી આગ કે ઇમરજન્સી સમયે જોખમ ઊભું થવાની સંભાવના પણ વ્યક્ત થઈ રહી છે. ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સ્ટોર રૂમમાં પૂરતી જગ્યા ન હોવાને કારણે હોસ્પિટલનો જુનો અને બિનઉપયોગી સામાન બેઝમેન્ટ વિસ્તારમાં રાખવામાં આવ્યો છે. તેમાં તૂટી ગયેલા બેડ, ખુરશીઓ, લોખંડના કબાટ, સ્ટીલના ડબ્બા અને કાર્ડબોર્ડના બોક્સનો સમાવેશ થાય છે. આ બધો જ ભંગાર બેઝમેન્ટ પાર્કિંગમાંથી નવા ઓપીડીના ગ્રાઉન્ડ ફ્લોર સુધી જવાનો માર્ગ છે ત્યા રાખવામાં આવ્યો છે, જ્યાં રોજ દર્દીઓ અને તેમના સગાસંબંધીઓની અવરજવર રહે છે. વ્હીલચેર અથવા સ્ટ્રેચર લઈ જતી વખતે સ્ટાફને વધુ સાવચેતી રાખવી પડે છે. કેટલાક લોકો કહે છે કે હોસ્પિટલમાં આવતી વખતે દર્દી પહેલેથી જ તકલીફમાં હોય છે, ત્યારે આવી સ્થિતિ દર્દિ માટે વધુ અસુવિધા ઉભી કરે છે. ચિંતા વધારતી બાબત એ છે કે આ સામાન ખુલ્લી ઇલેક્ટ્રિક પેનલની નજીક રાખવામાં આવ્યો છે. કાર્ડબોર્ડના બોક્સ અને લોખંડનો સામાન હોવાથી જો શોર્ટ સર્કિટ કે આગ જેવી ઘટના બને તો પરિસ્થિતિ ગંભીર બની શકે છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓ, વૃદ્ધો અને બાળકો માટે આવી સ્થિતિ જોખમરૂપ માનવામાં આવે છે. આ વિસ્તાર ઇમરજન્સી સમયે બહાર નિકળવાનો માર્ગ પણ ગણાય છે. કોઈ બનાવ બને તો લોકોને ઝડપથી બહાર કાઢવાની જરૂર પડે છે, પરંતુ સામાન હોવાથી કામગીરી ધીમી પડી શકે છે.
મીના બજારનું કરાશે કાયાપલટ:મીનાબજારને માણેક ચોકની પેટર્ન પર ડેવલપ કરાશે
છેલ્લા 45 વર્ષથી ગાંધીનગરમા જૂના સચિવાલય પાછળ ચાલતા મીના બજારની કાયાપલટ માટે મહાનગરપાલિકા દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. અત્યારસુધી મીનાબજાર ઓફિસ ટાઇમ પ્રમાણે સવારે 10થી સાંજે 7 વાગ્યા સુધી જ ધમધમતું રહે છે. શનિ- રવિ અને રજાના દિવસોમાં સુમસામ રહે છે ત્યારે માત્ર કર્મચારીઓ નહીં સમગ્ર શહેરીજનોને સુવિધા મળે અને મોડી રાત સુધી ધમધમતું રહે તે માટે તેને અમદાવાદના માણેકચોકની પેટર્ન પર વિકસાવવાનું આયોજન થઇ રહ્યું છે. દિવસ દરમિયાન ખરીદી અને મોડી રાત સુધી ખાણીપીણીની સુવિધા ઉપલબ્ધ થાય અને વેપારીઓના ધંધા- રોજગાર વધે તે હેતુથી મીનાબજારના રીડેવલપમેન્ટનો પ્લાન તૈયાર થઇ રહ્યો છે. પાટનગર હોવાથી અહીં સરકારી કર્મચારીઓની સંખ્યા વધારે છે. નવા- જૂના સચિવાલય અને આસપાસની કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને ચા- નાસ્તાની સુવિધા ઉપરાંત તેઓ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ ઓફિસ સમય દરમિયાન અથવા તો છૂટીને કરી શકે તે હેતુથી વર્ષ 1982માં મીના બજારની સ્થાપના કરવામાં આવી હતી. અહીં 300 જેટલી માઇક્રો શોપીંગની દુકાનો છે. એ ઉપરાંત સ્ટોલ ટાઇપ મંડપો અને લારી- ગલ્લા પણ આવેલા છે. પાટનગર યોજના વિભાગ દ્વારા અધિકૃત દુકાનો ફાળવાઇ હોય તેનો સરવે કરીને મહાનગરપાલિકા દ્વારા રીડેવલપમેન્ટનો પ્લાન તૈયાર કરાશે. આ બજાર માત્ર કચેરીના સમય પ્રમાણે ચાલે તેના બદલે રાત્રે મોડે સુધી ધમધમે તેમજ ખાણીપીણીની સુવિધા ઉપરાંત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ, કપડાં, પુસ્તકો સહિતની વસ્તુઓનું રજાઓના દિવસોમાં પણ વેચાણ ચાલું રહે તેવી વ્યસ્થા કરવામાં આવશે. મીના બજારમાં હાલ દુકાનો યોગ્ય રીતે નથી, પાર્કિંગની યોગ્ય સુવિધા નથી, સ્ટોલ પણ અવ્યવસ્થિત છે. ઘણી જગ્યા બિનઉપયોગી છે. જેથી તેને સુઆયોજિત બનાવાશે. અહીં પાર્કિંગ, બ્લોક, ફાઇન્ટેન સાથેનું ગાર્ડન, બેઠક વ્યસ્થા, ટોઇલેટ બ્લોક, ખાણીપીણીની દુકાનો માટે ટેબલ ખુરશી રહી શકે તેવી વ્યવસ્થા સાથેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. ગાંધીનગરની ઓળખ બને તે પ્રકારે વિકસાવાશેસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસે કહ્યું કે જેમ માણેક ચોક અમદાવાદની ઓળખ છે અને તેની અનોખી રોનક છે તેમ મીના બજાર પણ ગાંધીનગરની ઓળખ બને અને કર્મચારીઓ પુરતું સિમિત રહેવાને બદલે તમામ દિવસોમાં શહેરના વિવિધ વિસ્તારના નાગરિકો ખરીદી અને ખાણીપીણી માટે અહીં આવે તે પ્રકારે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
અકસ્માત સર્જાયો:ફીજી છાત્રાલય સામે સર્કલ પર કાર ચઢી જતા અકસ્માત સર્જાયો
પોરબંદરના સરકારી હોસ્પિટલ રોડ પર આવેલ ફીજી છાત્રાલય સામે સર્કલ પર ગઈકાલે શુક્રવારે રાત્રિના સમયે અકસ્માત સર્જાયો હતો. GJ 01 HW 9443 નંબરની કારના ચાલકે કોઈપણ કારણોસર સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર સર્કલ સાથે ટકરાઈ હતી અને કાર સર્કલ પર ચડી ગઈ હતી. અકસ્માત સર્જાતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઘટના સ્થળે પર પોલીસ આવી હતી અને ટોળાને વિખેર્યું હતું. નાની ક્રેન વડે સર્કલ પરથી કારણે દૂર ખસેડવામાં આવી હતી. સદનશીબે જાનહાનિ ટળી હતી. અકસ્માતના કારણ અંગે વધુ તપાસ કમલાબાગ પોલીસ ચલાવી રહી છે.
આરોપીને જેલ હવાલે કરાયો:મેમણવાડામાં બહેન દીકરીઓની છેડતી કરનાર આરોપી પાસાના પાંજરે પુરાયો
પોરબંદરમાં સગીરા અને યુવતીઓની છેડતી કરનાર આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી કરી, આરોપીની પાસા હેઠળ અટકાયત કરી આરોપીને અમદાવાદ જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યો છે. પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાંથી જાતિય સતામણીના ગુન્હાઓમાં પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધમાં પાસા હેઠળના અટકાયતી પગલા લેવા સુચના કરેલ હોય જે અનુસંધાને ડીવાયએસપી ઋતુ રાબાના માર્ગદર્શન હેઠળ કીર્તિમંદિર પોલીસ મથકે નોંધાયેલ પોકસો સહિતના જાતીય ગુન્હાનો આરોપી હીતેશ નાથાલાલ કોટીયા મેમણવાડામાં રાત્રીના સમયે સ્કૂટર પર આટાફેરા કરી સગીરવયની બહેન-દિકરીઓ સાથે અશ્લીલ ચેનચાળા કરી, તેમના શરીરે ટપલીઓ મારી ભાગી જઇ છેડતી કરતો હતો. આ શખ્સ સામે 4 ગુન્હા નોંધાયા હતા. આ શખ્સ વિરૂધ્ધમાં કીર્તિમંદિર પોલીસ મથકના પીઆઈ જે.જે.ચૌધરીએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક મારફત પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આ આરોપીને પાસા હેઠળ અમદાવાદ જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા એલસીબી પીઆઇ આર.કે.કાંબરીયાએ આરોપીની વોરંટની બજવણી કરી અટકાયત કરી અમદાવાદ જેલ ખાતે મોકલી દીધો છે.
મનપા દ્વારા માર્ગ-ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શહેરી આયોજન પર ટ્રેનિંગ સેશન કરવામાં આવ્યું છે, પરંતુ તૂટેલા રસ્તા, ફૂટપાથ અને પાર્કિંગની સમસ્યા યથાવત છે ત્યારે જૂની સમસ્યાઓનું વહેલીતકે નિરાકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. પોરબંદર શહેરના વિકાસ માટે મનપા દ્વારા વારંવાર ટ્રેનિંગ અને બેઠકો યોજાઈ રહી હોવા છતાં ગ્રાઉન્ડ પર તો સમસ્યા યથાવત રહી છે. પોરબંદર મનપા દ્વારા તાજેતરમાં ઇજનેરો માટે ટ્રેનિંગ સેશન યોજાયું હતું. ભારતીય રાષ્ટ્રીય વારસા અને સાંસ્કૃતિક ધરોહર સંરક્ષણ ટ્રસ્ટ દ્વારા ટ્રેનિંગ કાર્યક્રમમાં માર્ગ-ઇન્ફ્રાસ્ટ્રક્ ચર, પાર્કિંગ, ફૂટપાથ અને બસ સ્ટેશન, જાહેર સુવિધાઓના આધુનિક આયોજન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ભવિષ્યના વિકાસ કાર્યો વધુ ગુણવતાપૂર્ણ બનશે તેવી આશા વ્યક્ત કરી હતી પરંતુ માત્ર પ્રેઝન્ટેશન અને માર્ગદર્શનથી વિકાસ શક્ય નથી, જમીન સ્તરેથી કામગીરી જરૂરી છે. શહેરમાં બસ સ્ટોપ, પાર્કિંગ ઝોન, બિસ્માર રસ્તા, અપૂરતી ફૂટપાથ સહિત ટ્રાફિક વ્યવસ્થાના મુદ્દાઓ લાંબા સમયથી બાકી છે. વારંવાર યોજાતી બેઠક અને ટ્રેનિંગ છતાં અમલમાં વિલંબ થતો હોવાના કારણે શહેરીજનો મુશ્કેલી વેઠી રહ્યા છે. વિકાસના મુદ્દે તાલીમ અને ચર્ચાના દાવાને બદલે વર્ષો જૂની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
શિવસેના માલધારી સેલની ઉગ્ર રજૂઆત:શહેરમાં રઝળતા પશુને ઘાસચારા માટે સત્તાવાર પોઈન્ટ નક્કી કરો
પોરબંદર શહેરમાં પશુઓ માટેના ઘાસચારા વેચાણ પર પ્રતિબંધ બાદ મુદ્દો ગરમાયો છે. શિવસેનાના માલધારી સેલ દ્વારા પોરબંદર મનપાને આવેદન પાઠવી ઘાસચારા માટે સત્તાવાર વેચાણ પોઈન્ટ નક્કી કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે. પોરબંદર શિવસેના માલધારી સેલના પ્રમુખ રામભાઈ કોડીયાતર સહિત આગેવાનોએ જણાવ્યું હતુ કે, જાહેરમાં ઘાસચારો ન નાખવા લોકોના હિત માટે પ્રતિબંધ યોગ્ય છે, પરંતુ શહેરમાં મોટી સંખ્યામાં રહેલા રખડતા પશુઓનો નિભાવ અત્યાર સુધી લોકો દ્વારા નખાતા ઘાસચારા પર જ થતો હતો, એકધારા પ્રતિબંધથી હજારો પશુઓ ભૂખ્યા રહેવાની સ્થિતિ સર્જાઈ છે. મનપા પાસે રખડતા પશુઓ માટે પૂરતી વ્યવસ્થા નથી, ઘાસચારા વેચાણ પર સીધો પ્રતિબંધ આવતા રઝળતા પશુઓને પૂરતો ઘાસચારો મળતો નથી, શહેરમાં અનેક એવા સ્થળો છે જ્યાં ઘાસચારો વેચાય તો કોઈને અડચણરૂપ બનતું નથી, તેથી શહેરમાં આવા સ્થળોનો સર્વે કરી પશુઓને ઘાસચારો આપવા માટે સત્તાવાર પોઈન્ટ નક્કી કરી પાણી સહિતની સુવિધા ઉભી કરવામાં આવે તેવી માંગ કરી છે. વધુમાં જણાવ્યું હતુ કે, આ મુદ્દો માત્ર પશુઓના આહારનો જ નહીં પરંતુ હિંદુ આસ્થા સાથે જોડાયેલો છે, સાથે જ ઘાસચારો વેચતા અનેક પરિવારોની આજીવિકાનો પણ પ્રશ્ન હોવાનું જણાવાયું હતું. શિવસેના માલધારી સેલે ચેતવણી આપી છે કે તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે, તેમજ જીવદયા પ્રેમી નાગરિકોને પણ આ મુદ્દે સાથ આવવા અપીલ કરી છે.
દારૂનું દૂષણ વધ્યું:જિલ્લામાં 24 કલાકમાં દારૂ અંગેના 7 કેસ નોંધાયા
પોરબંદર જિલ્લામાં દારૂની બદી દૂર કરવા જિલ્લા પોલીસ દ્વારા પેટ્રોલિંગ, ચેકીંગ અને બાતમી આધારે દરોડા પાડવામાં આવે છે ત્યારે છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં દારૂ અંગેના 7 કેસ નોંધાયા હતા, જેમાં 3 શખ્સ નશો કરેલ હાલતમાં મળી આવતા, પોલીસે તેઓની સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અન્ય 1 કેસમાં પોલીસે 2 લિટર દેશી દારૂનો જથ્થો કિંમત રૂ.400નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી સામે કાર્યવાહી હાથ ધરી હતી.
ટ્રકે આગળ ઊભેલા ટ્રકમાં ટક્કર મારી:રાણાવાવ બાપયાસ પર થયેલા ટ્રક અકસ્માતમાં મૃતક સામે ગુનો નોંધાયો
રાણાવાવ બાયપાસ પર ઊભેલ એક ટ્રકમાં અન્ય ટ્રક ચાલકે પોતાનો ટ્રેક બેદરકારી રીતે ચલાવી ટ્રકમાં ભટકાવી દેતા ટ્રક અથડાવનાર ચાલકનું મોત થતા આ અંગે મૃતક સામે ગુન્હો નોંધાયો છે. રાણાવાવના રાણા કંડોરણા પુંજપરા ધારમાં રહેતા ફરીયાદી મોહન દેવાયત મોરીએ રાણાવાવ બાયપાસ પર GJ-12 U-9073 નંબરનો ક્રિષ્વ ઇન્ફ્રા રોડ મેન્ટેનશમા વિગવેગ લાઇટ વાળો ટ્રક સેફટી તથા રોડ પર આવતા વાહનોને લાઇટ દ્વારા ડાયરેકશન બતાવવાની લાઇટ ચાલુ રાખી અને રોડ પર જમણી સાઇડ રાખેલ હતો. ત્યારે MH-48-DC-6060 નંબરના ટ્રકના ચાલકએ મારંમાર તથા પુરઝડપે ગફલતભરી રીતે માનવજીંદગી જોખમાય તે રીતે ટ્રક ચલાવી કોઇપણ કારણોસર ઉભા રાખેલા ટ્રકમા પાછળની સાઇડ ભટકાડી દેતા ભટકાવનાર ટ્રકના ચાલકને શરીરે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. આ ટ્રક ચાલકની બેદરકારી બદલ મોહન દેવાયત મોરીએ ફરિયાદ નોંધાવતા પોલીસે MH-48-DC-6060 નંબરના ટ્રકના ચાલક સામે ગુન્હો નોંધી આગળની તપાસ રાણાવાવ પોલીસ ચલાવી રહી છે. અણુ રાજ્યનો ટ્રક ડ્રાઈવર હોવાથી હજુસુધી તેનું નામ જાણી શકાયું ન હોવાનું પોલીસે જણાવ્યું હતું.
હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, પોરબંદરમાં લોકો હોળીનો તહેવાર ઉત્સાહભેર ઉજવે છે અને હોળી પર્વ દરમ્યાન રંગોત્સવની ઉજવણી કરી આનંદ માણે છે ત્યારે પિચકારી અને કલરની હોલસેલ બજારમાં પણ તેજી વ્યાપી છે. લારી ધારકો, સ્ટોલ અને દુકાન ધારકો પિચકારી અને કલરનો સ્ટોક કરી રહ્યા છે ત્યારે આ વખતે પોરબંદરની બજારમાં ધર્મ આધારિત પિચકારી આવી છે. પિચકારીમાં પંપ પિચકારી જેમાં ગદા, ભાલા,તલવાર, ત્રિશુલ, ઉપરાંત રોકેટ લોન્ચર, છત્રી, કુહાડી, હથોડી આકારની પંપ પિચકારી આવી છે જે આકર્ષણનું કેન્દ્ર બની છે. આ પિચકારીઓ રૂ.120 થી 300ના ભાવે મળશે જ્યારે ગન પિચકારીમાં ગન, માછલી, બાઇક, કાર, એલિફન્ટ જેવા શેપની પિચકારી જેમાં રૂ.20 થી લઈને રૂ. 700 સુધીની પિચકારી બજારમાં ઉપલબ્ધ થઈ છે, જ્યારે ટેન્ક પિચકારીમાં સ્કૂલના બેગની જેમ પહેરી શકાય તેવી વિવિધ કાર્ટૂન કેરેક્ટર વાડી પિચકારી જે રૂ. 150 થી રૂ. 600 સુધીની મળશે. કલરની વાત કરીએ તો સૂકા અને ભીના કલર બજારમાં આવે છે જેમાં માટી તેમજ તપપકીરના લોટ માંથી બનાવેલ સ્વદેશી કલર જે વિવિધ સુગંધમાં મળે છે. ઓર્ગેનિક કલરનો ક્રેઝ છે અંદાજે 14 જાતના કલર આવે છે જે રૂ. 10 થી લઈને રૂ. 100 સુધીના પેકેટમાં મળે છે. કાચા કલરમાં પણ ઓર્ગેનિક કલરનો ચલણ છે, ગુલાલ ઉડાડવા માટેના પંપ અને ગેસના સિલિન્ડર પ્રકારનું ચલણ વધ્યું છે, કલર પંપ રૂ.200 થી લઈને 1200 સુધીના ભાવે મળશે. બજારમાં ઇલેક્ટ્રિક પિચકારી આવી હોળીના તહેવાર દરમ્યાન લોકો અવનવી પિચકારીની ખરીદી કરતા હોય છે ત્યારે આ વખતે બજારમાં બેટરી ઓપરેટેડ ઇલેક્ટ્રિક પિચકારી આવી છે જેમાં ચાર્જિંગ પણ થાય છે. ચાપ દબાવવાથી પાણી ઉડે છે. આ પિચકારી બજારમાં રૂ.600 થી રૂ.700ના ભાવે મળે છે. ભગવાન માટે પિચકારી અને કલરનો ક્રેઝહોળીના તહેવાર દરમ્યાન લોકો મિત્ર સર્કલ અને સ્નેહીજનો સાથેકલર ઉડાવી તેહવારનો આનંદ માણે છે ત્યારે ભગવાનને પણ કલરઅને પિચકારી ધરવામાં આવે છે. બાલકૃષ્ણ ભગવાન માટે નાનીબાલદી અને નાની પિચકારી ખરીદવાનો ક્રેઝ છે ત્યારે આ પિચકારી રૂ.20 થી 150 સુધીની બજારમાં મળે છે.
પરીક્ષા ખાસ:ધો-10 વિજ્ઞાનનું પેપર પાઠ્યપુસ્તકમાંથી જ પૂછાય છે, તેની પર છાત્રો ધ્યાન આપે
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પહેલા દિવસે વિદ્યાર્થીને અઘરા લાગતા વિષય ફિઝિક્સ( ભૌતિક વિજ્ઞાન)નું પેપર છે. વિદ્યાર્થીઓ ફિઝિક્સમાં સારા માર્ક્સ લાવી શકે તે માટે કેટલીક જરૂરી ટિપ્સ અત્રે પ્રસ્તુત છે. -વિભાગ A માં 50 પ્રશ્નો M.C.Q. પ્રકારના હોય છે તેના માટે 1 કલાકનો સમય હોય છે.જેમાં 10 થી 15 પ્રશ્નો ટ્વિસ્ટ કરેલ હોઈ શકે જ્યારે બાકીના પ્રશ્નો પાઠ્યપુસ્તકના આધારે હોય છે. પાઠ્યપુસ્તકમાં દરેક ચેપ્ટરમાં આવતા એકમ તથા પારિમાણિક સૂત્રો, આલેખ, ટૂંકી ગણતરીવાળા ઉદાહરણ તથા સ્વાધ્યાયના પ્રશ્નો છેલ્લા સમયમાં વાંચી લેવા જોઈએ. -M.C.Q. સોલ્વ કરતી વખતે 1 કલાકના સમયને ધ્યાનમાં રાખી શાંત ચિત્તે બિનજરૂરી ઉતાવળ કર્યા સિવાય પ્રશ્નો સોલ્વ કરવા જોઈએ. ટૂંકી ગણતરી અને સહેલા હોય તેવા પ્રશ્નો શરૂઆતમાં જ ટીક કરી દેવા જોઈએ જેથી બાકીનો સમય અન્ય પ્રશ્નોને આપી શકાય. {એમ.જે.ડાભી. ફિઝિક્સ ટીચર, માય ઓન હાઈસ્કૂલ, હિંમતનગર.
સ્પેશલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય:19 ફેબ્રુ.થી અસારવા-આગ્રા કેન્ટ સ્પેશિયલ ટ્રેન દોડશે
પશ્ચિમ રેલવે દ્વારા આગામી હોળીને લઇ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અસારવા અને આગ્રા કેન્ટ વચ્ચે સ્પેશલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવે દ્વારા મળતી માહિતી અનુસાર ટ્રેન નં. 01920 અસારવા–આગ્રા કૅન્ટ સ્પેશિયલ 19 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2026 સુધી મંગળવાર અને બુધવાર સિવાય અસારવાથી દરરોજ 14:50 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 7:45 વાગ્યે આગ્રા કૅન્ટ પહોંચશે. એ જ રીતે, ટ્રેન નં. 01919 આગ્રા કૅન્ટ– અસારવા સ્પેશિયલ 18 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2026 સુધી સોમવાર અને મંગળવાર સિવાય આગ્રા કૅન્ટથી દરરોજ 18:10 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 11:10 વાગ્યે અસારવા એ જ રીતે પહોંચશે. આ ટ્રેન હિંમતનગર, શામળાજી રોડ, ડુંગરપુર, સેમારી, જાવર, ઉદયપુર સિટી, રાણા પ્રતાપ નગર, માવલી, ચંદેરિયા, માંડલ ગઢ, બૂંદી, કેશોરાય પાટણ, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, રૂપબાસ અને ફતેહપુર સીકરી સ્ટેશનો પર રોકાશે.આ ટ્રેનમાં એસી 3-ટિયર, સ્લીપર તથા સામાન્ય શ્રેણીના કોચ રહેશે. ટ્રેન નં. 01920ની બુકિંગ 14 ફેબ્રુઆરીથી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.
મહાશિવરાત્રી:શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઊઠશે
સુરેન્દ્રનગર જિલ્લામાં આજે મહાશિવરાત્રી પર્વને લઇને ભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. ત્યારે આ દિવસે જિલ્લાભરના શિવમંદિરોમાં ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં સતવારા સમાજ દ્વારા શોભાયાત્રા, મંદિરોમાં 4 પ્રહર પૂજન, ધોળીધજા ડેમે શિવરાત્રીનો મેળો યોજાશે. સુરેન્દ્રનગર જિલ્લામાં મોટી સંખ્યામાં શિવમંદિરો આવેલા છે. ધોળેશ્વર મહાદેવ સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ પર આવેલુ પૌરાણીક ધોળેશ્વર મહાદેવનું મંદિર અંદાજે 70 વર્ષ પુરાણુ છે. અહીં શિવરાત્રીના દિવસે દર્શનનું મહત્વ વધુ હોય છે. દર વર્ષની જેમ આ વર્ષ પણ અહીં શિવરાત્રીનો ભવ્ય મેળો યોજાશે. જ્યારે મંદિરે ભવ્યરોશની શણગાર કરી મહાદેવનું રાત્રીના 4 પહરનું વિશેષ પૂજન જેમાં અભિષેક, રૂદ્રીપાઠ, બિલિપત્રથી પૂજન કરવામાં આવશે તથા બ્રહ્મ કુમારીઝ-વઢવાણ 80 ફૂટ રોડ બ્રહ્મ કુમારીઝ સર્કલ પાસે બ્રહ્મકુમારી સેન્ટર ખાતે સુરેન્દ્રનગર બ્રહ્મા કુમારીઝ સેવા કેન્દ્ર 80 ફૂટ રોડ સુરેન્દ્રનગર દ્વારા 90માં શિવ જયંતિ મહોત્સવ ઉજવણી કરાશે. જેમાં લોકો વ્યસનમુક્તિ તથા શિવ શંકરની ચૈતન્યઝાંખી આધ્યાત્મિક પ્રદર્શન, રામેશ્વર મહાદેવ દર્શન, રામ રાજ્ય દર્શન તથા વિશાળ મહિલા સંમેલન યોજાશે. વઢવાણ ક્ષેકશંકર મહાદેવ ભોગાવા કાંઠે આવેલું પ્રાચીન અને ઐતિસિક સ્વયંભુ ક્ષેમશંકર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરાશે. જેમાં નંદી પર સવાર મહાદેવનું મહારૂદ્ર યજ્ઞ અને અભિક્ષેક મહાપૂજનનું આયોજન કરાયું છે. સિધ્ધનાથ મહાદેવ-વઢવાણના સિધ્ધનાથ મહાદેવ મંદિરેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન સતવારા સમાજ દ્વારા કરાયું છે. અણઘટનાથ મહાદેવ મંદિર-સુરેન્દ્રનગરના સૌથી પુરાણા માંના એક અને એક માત્ર પશ્ચિમ મુખી મહાદેવ મંદિરે શિવરાત્રી નિમિત્તે ભવ્ય ઉજવણી કરાશે. જેમાં મહાદેવના સવારે વિશેષ શણગાર, રાત્રી દરમિયાન 4 પ્રહરની વિશેષ આરતી પૂજન મહારૂદ્રી સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાશે. રાશિ મુજબ શિવ નામના આ જાપ કર મેષ : ઓમ લોકપાલાય નમઃ { વૃષભ : ઓમ વરદાય નમઃ { મિથુન : ઓમ કામાય નમઃ { કર્ક : ઓમ હરાય નમઃ { સિંહ : ઓમ મહાત્મને નમઃ { કન્યા : ઓમ પ્રભવે નમઃ { તુલા : ઓમ તરંગવિદે નમઃ { વૃશ્ચિક : ઓમ નિયમાય નમઃ { ધન : ઓમ ભવાયનમઃ { મકર : ઓમ ખચરાય નમઃ { કુંભ : કુંભ સ્થિરાય નમઃ { મીન : ઓમ દર્શનાય નમઃ મહાશિવરાત્રી અને વ્યતિપાતયોગ દિવસ અને મહાશુભયોગ 15 ફેબ્રુઆરી 2026ના રોજ જ્યોતિષશાસ્ત્ર મુજબ ઉત્તમ દિવસ અને મહાશુભયોગ કારણ કે મહાશિવરાત્રી અને વ્યતિપાતયોગ આજ દિવસે છે. ધર્મ શાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં ત્રણ રાત્રિનું અતિ મહત્વ દર્શાવેલ છે. મહાશિવરાત્રી, જન્માષ્ટમી અને દિવાળી. મહાશિવરાત્રીના દિવસે સવારમાં સૂર્યોદય સમયે અથવા નિશિથ કાળનો સમય 24:57થી 25:11 સુધી રુદ્રાભિષેક મહાપૂજા કરવી. પ્રથમ પ્રહર પૂજા 18:45થી, દ્વીતિય પ્રહર 21:50થી, તૃતીય પ્રહર 24 : 57થી, ચતુર્થ પ્રહર 28:08થી રુદ્રાભિષેક અને મહાપૂજા કરવી. બની શકે તો રુદ્રાભિષેક સવારમાં સૂર્યોદય સમયે અથવા સૂર્યાસ્ત પછી પ્રહર કાળમાં અથવા નિશિથ કાળમાં કરવો અતિ લાભદાયક રહેશે. { બંસલકુમાર જાની, જ્યોતિષ
મોડો શરૂ થયેલો શિયાળો વહેલો પૂરો થયો:10 વર્ષમાં 14મી ફેબ્રુઆરી સૌથી વધુ ગરમ
જિલ્લામાં ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં તાપમાનનો પારો સતત વધઘટ રહ્યો છે. જેમાં એક સપ્તાહમાં તાપમાન 4 ડિગ્રી ઘટ્યા બાદ ફરી વધી રહ્યું છે. ત્યારે 14 ફેબ્રુઆરી છેલ્લાં 10 વર્ષનો સૌથી ગરમ દિવસ બની જવા પામ્યો છે. આમ મોડે શરૂ થયેલો શિયાળા વહેલો પુરો થવા સાથે ગરમીની અસર વર્તાઇ રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષ શિયાળની શરૂઆત ધીમી ઠંડીની શરૂ આત થઇ હતી. જેમાં શરૂઆતમાં ઠંડી ઓછી પડ્યા બાદ કમોસમી માવઠાથી થોડો સમય ઠંડી રહ્યા બાદ ડિસેમ્બરના શરૂઆતના દિવસો પછી ફરી ઠંડી ઘટી હતી. આમ આ વર્ષ શિયાળાની શરૂઆત મોડી થઇ હતી. ત્યારે ઉત્તર પૂર્વમાં જમ્મુ કાશ્મીર રિજિયનમાં થોડા સમયથી બરફ વર્ષાને લઇ જતા ડિસેમ્બરના અંતિમ 4-5 દિવસ અને જાન્યુઆરીના પહેલા 10 દિવસ એમ 15 શિયાળાની શીતલહેર વધતા થોડા દિવસોથી ફરી ઠંડક અહેસાસ થયો હતો. અલનીનોની અસર પવનોની દિશા દક્ષિણ - પશ્ચિમ થતાં પારો વધ્યો આ વર્ષ પેસિફિક મહાસાગરમાં સમુદ્રની સપાટીનું તાપમાન વધવાની ઘટના (અલ-નીનો) હવામાન પર અસર કરે છે. અલ-નીનોના વર્ષમાં શિયાળો ટૂંકો રહે છે અને ઉનાળાની શરૂઆત વહેલી તેમજ વધુ ગરમી સાથે થાય છે. શિયાળામાં ઉત્તર ભારતમાંથી આવતા પશ્ચિમી વિક્ષેપને કારણે ઠંડા પવનો ફૂંકાય છે, જે તાપમાનને નીચું રાખે છે. આ વર્ષે આવા પવનોની ગેરહાજરી અથવા તેની દિશામાં ફેરફાર થવાથી ગરમ પવનોનું જોર વધ્યું છે. પવનોની દિશા ઉત્તર-પૂર્વને બદલે પશ્ચિમ અથવા દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનના રણ તરફથી થાય છે, ત્યારે તે પોતાની સાથે ગરમ હવા લાવે છે. આથી ફેબ્રુઆરીમાં જ તાપમાન 34 ડિગ્રીને પાર તયું છે.{ રમેશભાઇ ગોસાઇ, નિવૃત ડિઝાસ્ટર મામલતદાર
સેતુગીરી ગોસ્વામીસુરેન્દ્રનગર ટ્રાફિકના ભરડામાં ફસાયું હોય તેમ છેલ્લા 3 વર્ષમાં 85 હજાર વાહનો વધતા રસ્તાઓ સાંકડા પડે છે. ઝાલવાડનું હૃદય ગણાતું સુરેન્દ્રનગર શહેર હવે ટ્રાફિકની ગંભીર સમસ્યાથી હાંફી રહ્યું છે. ખાસ કરીને વર્ષ 2025માં 35 હજાર નવા વાહનો રસ્તા પર ઉતરતા ટ્રાફિકે માઝા મૂકી છે. 2020 બાદ 9000 નવી કાર અને 65000 થી વધુ બાઈક વધતા શહેરના મુખ્ય માર્ગો હવે વાહનોના ભારણ સામે નાના પડી રહ્યા છે, જેના કારણે ટાકી ચોક, જવાહર ચોક, દુધરેજ રોડ, વઢવાણ, રતનપર, ટાવર રોડ સહિત અનેક રસ્તાઓ પર નાગરિકો ટ્રાફિક જામમાં ફસાય છે. ધ્રાંગધ્રા, લીંબડી, સાયલા અને ચોટીલામાં કોમર્શિયલ વાહનો વધ્યા વઢવાણ અને સુરેન્દ્રનગર શહેરમાં સૌથી વધુ ટુ-વ્હીલર અને લક્ઝરી કારની નોંધણી થાય છે. જ્યારે ધ્રાંગધ્રા અને લીંબડી હાઈવે નજીકના વિસ્તારો હોવાથી અહીં કોમર્શિયલ ટ્રક અને ટ્રાન્સપોર્ટ વાહનોની સંખ્યા નોંધપાત્રપણે વધી છે. ચોટીલા, સાયલા અને મૂળીમાં ટ્રેક્ટર અને ખેતીવાડીના સાધનોની નોંધણી વધુ થઈ હતી છેલ્લા 5 વર્ષમા નવા નોંધાયેલા વાહનો ની સંખ્યા વર્ષ. વાહનની સંખ્યા 2021 22,500 થી વધુ2022 28,000 થી વધુ 2023 26,500 થી વધુ 2024 29,000 થી વધુ 2025 30,500 થી વધુ સુરેન્દ્રનગર માં કયા પ્રકારના કેટલા ટકા વાહનો રસ્તા ઉપર ટુ-વ્હીલર 75% થી 80 ફોર-વ્હીલર 8% થી 10% ટ્રેક્ટર/ટ્રેલર 7% થી 8% ટ્રક/ટેમ્પો 3% થી 4% રીક્ષા/બસ/વગેરે 1% થી 2% કોરોના બાદ કારની સંખ્યામાં અચાનક વધારોકોરોના પહેલા એટલે કે વર્ષ 2020 પહેલા ઝાલાવાડમાં દર વર્ષે સરેરાશ 3000 થી 4000 નવી કારો નોંધાતી હતી.પરંતું 2021 પછી જિલ્લામાં કારની સંખ્યામાં અચાનકથી બમણો વધારો થઈને લગભગ 9000 નવી કાર રસ્તા પર આવી હતી જેને ટ્રાફિકજામનું મુખ્ય કારણ ગણી શકાય દબાણો દૂર થાય તો ટ્રાફિકજામ માંથી આંશિક રાહતસંખ્યાશહેરમાં જવાહર રોડ, ટાકી ચોક, બહુચર ચાર રસ્તા, દુધરેજ રોડ, રતનપર અને વઢવાણ સહિત ઘણા મુખ્ય રસ્તાઓ પર મનપા દ્વારા દૂર કરાયેલા દબાણો લારી અને ગલ્લા ફરીથી રસ્તાની બંને બાજુ ગોઠવાઈ જવાથી રસ્તા વધુ સાંકડા બન્યા છે. આ દબાણો દૂર થાય તો ટ્રાફિકજામ માંથી આંશિક રાહત મળી શકે.
ખેતીવાડીમાં હવે AI:આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા કરશે પાક સર્વેનું વેરિફિકેશન કરાશે
કૃષિ ક્ષેત્રમાં પારદર્શિતા લાવવા અને ખેડૂતોને મળતી સહાય વધુ સચોટ બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બોટ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. ભારત સરકારની એગ્રીસ્ટેક યોજના અંતર્ગત ડિજિટલ ક્રોપ સર્વેની વિગતોને ક્રોસ-વેરિફાઈ કરવા માટે હવે ખેડૂતોનો ટેકનોલોજીના માધ્યમથી સીધો સંપર્ક કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ દ્વારા ખેડૂતોને પારદર્શક સેવાઓ પૂરી પાડવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારત સરકારની એગ્રીસ્ટેક યોજના હેઠળ ખેતીમાં આધુનિકતા લાવવાના ઉદ્દેશ્યથી અમલી બનાવવામાં આવેલી ડિજિટલ ક્રોપ સર્વેની કાર્યપ્રણાલીને વધુ સચોટ અને પારદર્શક બનાવવા માટે હવે AI BOT આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બોટ સિસ્ટમ દ્વારા ડેટા વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ પ્રક્રિયા દરમિયાન ખેડૂતો પાસેથી તેમના ખેતર અને વાવેતર કરેલા પાક સંબંધિત માહિતીની પુષ્ટિ કરવામાં આવશે. ખેતી નિયામકની કચેરી દ્વારા ખેડૂતોને જ્યારે પણ તેમને આવા કોલ કે મેસેજ મળે, ત્યારે તેઓ પોતાના ખેતર અને પાકની સાચી અને સચોટ માહિતી આપી વેરિફિકેશનની કામગીરીમાં સહયોગ આપવા જણાવ્યું છે. આ એક સંપૂર્ણ સરકારી અને સુરક્ષિત ડિજિટલ પહેલ હોવાથી, ખેડૂતોએ કોઈ પણ પ્રકારની અફવાઓ અથવા ગેરમાર્ગે દોરનારી વાતોથી દૂર રહેવું. ખેતી સંબંધિત ડેટાને ડિજિટલ અને સચોટ બનાવવાથી ભવિષ્યમાં ખેડૂતોને સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ, પાક વીમો અને અન્ય લાભો સીધા અને ઝડપથી મળી શકશે. ડેટા વેરિફિકેશનની નવી પદ્ધતિ ખેડૂતોને આવશે ફોન અને વોટ્સએપ વર્તમાન રવિ ઋતુમાં સર્વેયરોએ ખેતરોની મુલાકાત લઈ જીઓ-ટેગ લોકેશન સાથેના ફોટા દ્વારા જે ડેટા મોબાઈલ એપમાં રેકોર્ડ કર્યો છે. તેનું હવે AI BOT દ્વારા ક્રોસ-ચેકિંગ કરાશે. આ પ્રક્રિયાથી ક્ષતિઓ દૂર કરી શકાશે. ખેડૂતો સાથે સીધો સંવાદ : જે ખેડૂતોનો ડિજિટલ સર્વે થઈ ચૂક્યો છે, તેમને સંપર્ક કરવામાં આવશે : ઓટોમેટેડ વોઈસ કોલ : ખેડૂતને ફોન આવશે. જેમાં પાકની વિગતોની પુષ્ટિ માંગવામાં આવશે. વોટ્સએપ દ્વારા પણ પાક અને ખેતર સંબંધિત માહિતીની ખાતરી કરાશે. પાક વીમાના ક્લેમ પાસ થવામાં વિલંબ નહીં થાય. સરકારી સહાય સાત બારના ઉતારે પાકની સાચી નોંધણીથી સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળશે.પારદર્શિતા વચેટિયાઓ કે ક્ષતિગ્રસ્ત ડેટાને કારણે થતો અન્યાય અટકશે.
સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમ ધ્રાંગધ્રા ગ્રામ્ય વિસ્તારમાં હોવા દરમિયાન જુગાર અંગે બાતમી મળી હતી. આથી ખાંભડા ગામની સીમમાં વાડીમાં ચાલતા જુગાર પર દરોડો પાડતા 5 શખસ પકડાયા હતા. રોકડા, કાર, બાઇક સહિત રૂ.6,77,400નો મુદામાલ જપ્ત કરાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં વધતી જુગારની બદીને નાબૂદ કરવાની જિલ્લા પોલીસ વડાની સૂચનાને લઇ એલસીબી ટીમે એકશન પ્લાન બનાવી શહેર તથા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારમાં હોવા દરમિયાન મળેલી બાતમીના આધારે ધ્રાંગધ્રા રાજસીતાપુર ગામથી પથુગઢ પાટીયા તરફ જતા રોડપર ખાંભડા ગામની સીમમાં આવેલી વાડીમાં દરોડો કરાયો હતો. જ્યાં એરંડાની આડમાં જુગાર રમતા શખ્સોમાં નાશભાગ મચી હતી. દરમિયાન 5 શખસને ઝડપી પડાયા હતા. તેમની પાસેથી 1,76,900 રોકડા, મોબાઇલ 6 રૂ.40,500, બાઇક 5 રૂ.1,60,000, કાર 1 રૂ.3 લાખ એમ કુલ રૂ.6,77,400નો મુદામાલ જપ્ત કરાયો હતો. જ્યારે પકડાયેલા શખ્સોને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે જુગારધારા અંગે ગુનો નોંધાવાયો હતો. આ દરોડામા 5 શખસ ફરાર થઇ જતા તમામ સામે ગુનો નોંધાયો હતો. આ કાર્યવાહીમાં એલસીબી ટીમ જોડાઇ હતી. પકડાયેલ શખ્સો : ધ્રાંગધ્રા ગુજરવદી અંકીતભાઇ ડાયાભાઇ પટેલ, સંજયભાઇ પોપટભાઇ પરેસા, તળશીભાઇ મગનભાઇપટેલ, ધ્રાંગધ્રા કોંઢના સુરેશભાઇ હનુભાઇ ચૌહાણ, ધ્રાંગધ્રા કોંઢના સુભાષભાઇ રતુભાઇ ગોયલ પકડાયા હતા. ફરાર શખસો : ધ્રાંગધ્રા ખાંભડાના સુરપાલસિંહ ઉર્ફે સુરૂભા દાજીભા સોલંકી, GJ13AG 6547, GJ13AD7132, GJ6K M4944 બાઇકના ચાલક માલીક કાર GJ1KB3727ચાલક માલીક
વાવ-થરાદ જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામમા 15મો અશ્વમેળો ચાલી રહ્યો છે. મેળામાં દેશભરના અશ્વપ્રેમીઓ 500થી વધુ ઉચ્ચ નસ્લના અશ્વોને લઈને પહોંચ્યા હતા. મેળામાં 1 કરોડથી લઈને 15 કરોડ સુધીની કિંમત ધરાવતા મારવાડી તેમજ અન્ય પ્રજાતિના અશ્વોએ આકર્ષણ જમાવ્યું હતું. 4 જિલ્લાની પોલીસના અશ્વોએ પણ ટેન્ટ પેગિંગ અને જમ્પિંગ જેવી સ્પર્ધાઓમાં પોતાનું કૌશલ્ય પ્રદર્શન કર્યું હતું. અશ્વમેળાની સાથે યોજાયેલા પશુ પ્રદર્શનમાં કોટડાનો ‘સમ્રાટ’ પાડો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. પદ્મશ્રી એવોર્ડ વિજેતા ગોલુ-2 બુલના સીમનથી તૈયાર થયેલા આ પાડા માટે ગયા વર્ષે પંજાબના એક વેપારીએ 1.11 કરોડની ઓફર આપી હતી, પરંતુ પશુપાલકે સ્થાનિક ઓલાદ સુધારવાના હેતુથી તેને વેચવાનો ઇન્કાર કર્યો હતો. આ પાડાની માતા દૈનિક 30 લિટરથી વધુ દૂધ આપવાની ક્ષમતા ધરાવે છે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડાના અશ્વ ‘ભારતરાજ’એ 2 દાંતની કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવી જીતની હેટ્રિક નોંધાવી છે. સૂર્યવંશ કુળના 66 ઇંચ ઊંચાઈ ધરાવતા આ અશ્વે અગાઉ ઇન્દોર અને મોગાના નેશનલ શોમાં પણ તેણે વિજય મેળવ્યો હતો. જસરાના અશ્વમેળામાં અશ્વોએ આકર્ષણ જમાવ્યું હતું.
રાજસ્થાનના શિરોહી જિલ્લાનાં મંડાર કસ્બામાં ચારેબાજુ હરિયાળીથી આચ્છાદિત પહાડી પર સ્થિત લીલાધરી મહાદેવ મંદિર દેશભરના ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં દર વર્ષે મહાશિવરાત્રીના પર્વે હજારો શ્રદ્ધાળુઓ ભગવાન ભોળેનાથના દર્શન કરવા આવે છે. પહાડીની ચોટી પર સ્થિત 84 ફૂટ ઊંચા સ્વયંભૂ શિવલિંગની પૂજા-અર્ચના કરી, મનોઇચ્છા પૂર્ણ થવા પર નાળિયેર ચઢાવવામાં આવે છે. મંદિરના ઉપરના ભાગમાં સ્થાપિત 84 ફૂટ ઊંચા શિવલિંગની ઊંચાઈ વધુ હોવાથી અત્યાર સુધી માત્ર બે જ વાર સંપૂર્ણ અભિષેક થઈ શક્યો છે. દર વર્ષે મહાશિવરાત્રીના દિવસે ભક્તો શિવલિંગના તળિયે જ પૂજા કરે છે. માન્યતા છે કે શિવલિંગ સહિત પહાડીને ભગવાન વિષ્ણુએ ગ્વાલા સ્વરૂપે આવી પોતાના હાથે સ્થાપિત કરી હતી. પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ મળતો હોવાથી આખી પહાડી પવિત્ર માનવામાં આવે છે. પહાડી પર અનેક પ્રાકૃતિક ગુફાઓ આવેલ છે, મંદિરના પાછળના ભાગમાં આવેલી ગુફામાં લોકો દર્શન માટે આવે છે, પૂજારી છગન મહારાજ દ્વારા નિયમિત પૂજા કરવામાં આવે છે. મહાશિવરાત્રી બાદ ફાગણ સુદ ગ્યારસ, એટલે કે આમલકી ગ્યારસે લિલાધારી મહાદેવનો મેળો ભરાય છે,> શબ્બીર ભાટી મંડાર
પીકઅપ પોઇન્ટ માટે ટેન્ડર પ્રક્રિયા થશે:પાલનપુરના માર્ગો પર આજથી સીટી બસ દોડશે
પાલનપુરમાં ફરી એક વાર સિટી બસ સેવાનો મહાશિવરાત્રીથી આરંભ થવા જઈ રહ્યો છે.વર્ષો બાદ ફરી શરૂ થતી આ સેવા પ્રથમ તબક્કામાં 4થી6 બસો સાથે શરૂ થશે અને તબક્કાવાર કુલ 9 બસો 6 રૂટ પર દોડશે. નગરપાલિકા દ્વારા મહેસાણાની એજન્સીને ટેન્ડર ફાળવાયા બાદ આ વ્યવસ્થા અમલમાં આવી રહી છે. મિનિમમ ભાડું 2 કિલોમીટર સુધી 5 રૂપિયા નક્કી કરાયું છે. બસો સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધી દોડશે. દરેક બસમાં GPS સિસ્ટમ લગાવવામાં આવી હોવાથી મુસાફરો લાઈવ લોકેશન જાણી શકશે. ગુરુ નાનક ચોક ખાતે મુખ્ય કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે.નગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં બસ કયા સ્થળે ઉભી રહેશે તેની તપાસ કરી સત્તાવાર પિકઅપ પોઈન્ટ કરાશે. તેમજ સ્ટોપ નિશ્ચિત કરી ત્યાં સ્ટેન્ડ બનાવવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે. હોસ્પિટલ, કોલેજ, રેલ્વે સ્ટેશન અને હાઈવે વિસ્તારોને જોડતા રૂટ તૈયાર કરાયા છે, જેથી શહેર તથા 7 કિલોમીટર ત્રિજ્યાના ગ્રામ્ય વિસ્તારોને લાભ મળશે.મુસાફરો 100 રૂપિયા આપી એટીએમ જેવું કાર્ડ ખરીદી શકશે. ઓછામાં ઓછા 100 રૂપિયાનું રિચાર્જ ફરજિયાત રહેશે. પાસ દ્વારા મુસાફરીમાં 20 ટકા ડિસ્કાઉન્ટ મળશે. ફેમિલી પાસની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. જોકે આ સેવા શરૂ થતાં તંત્ર પર દર મહિને અંદાજે 35થી40 લાખ રૂપિયાનું આર્થિક ભારણ વધશે તેવી પણ ચર્ચા એ પણ વેગ પકડ્યું છે. ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન ભારતીબેન અંબાલાલ રંગવાની એ જણાવ્યું કે પાલનપુર શહેરના જુના આરટીઓ સર્કલ પરથી મુખ્યમંત્રી શહેરી બસ સેવાનો મહાશિવરાત્રીના રોજ મયંકભાઈ નાયક, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર પાલિકા પ્રમુખ ચીમનભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં આરંભ કરવામાં આવશે.
ડીસા તાલુકાના ઝેરડા ગામમાં છેલ્લા સાત વર્ષથી ઉભેલી પાણીની ટાંકી હાલ અત્યંત જર્જરિત હાલતમાં પહોંચી ગઈ છે. ટાંકીની દીવાલોમાં મોટા ભંગાણ દેખાઈ રહ્યા છે અને લોખંડની સરિયા બહાર નીકળી આવતાં ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતિ ઊભી થઈ છે. ટાંકીની બાજુમાં જ મુખ્ય માર્ગ પસાર થતો હોવાથી વાહનચાલકો અને ગામલોકો માટે ગંભીર જોખમ સર્જાયું છે. ટાંકી નજીક રહેતા કાળુભાઈ સુથારે સંભવિત દુર્ઘટનાના ડરે પોતાનું મકાન ખાલી કરી પરિવાર સાથે ખેતરમાં રહેવા જવાનું પસંદ કર્યું છે. ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કરવા છતાં હજી સુધી કોઈ ઠોસ કાર્યવાહી ન થતાં લોકોમાં રોષ ફેલાયો છે. ગ્રામ પંચાયતના જણાવ્યા મુજબ નવી ટાંકીમાંથી અલગ કનેક્શન આપી પાણી પુરવઠો શરૂ કર્યા બાદ જર્જરિત ટાંકી તોડી પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. હાલમાં ગ્રામજનો તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
માંગણી:ગેરકાયદે લાઇટ સામે પાલનપુર શહેર વિકાસ સમિતિ દ્વારા કાર્યવાહીની માંગ
પાલનપુરમાં કેટલાક વાહનોમાં લગાવવામાં આવતી અતિ તેજસ્વી સફેદ હાઈ-ઇન્ટેન્સિટી એલઇડી હેડલાઈટ,એચઆઇડી અને આફ્ટરમાર્કેટ એલઇડી કન્વર્ઝનને કારણે માર્ગ અકસ્માતોનું જોખમ વધતું હોવાની ફરિયાદ ઉઠી છે.આ મામલે પાલનપુર વિકાસ સમિતિ તથા યુવા જાગૃતિ અભિયાન દ્વારા વાહનવ્યવહાર વિભાગ અને આરટીઓ કચેરીને લેખિત રજૂઆત કરાઈ છે. રજૂઆતમાં જણાવાયું છે કે આવા અતિ તેજ પ્રકાશવાળા લાઇટ્સ સામે આવતા વાહનચાલકોની આંખોમાં ચમક પેદા કરે છે,જેના કારણે દ્રષ્ટિ પ્રભાવિત થાય છે અને અકસ્માતની શક્યતા વધી જાય છે.રજૂઆત કર્તાઓએ જણાવ્યું કે મોટર વ્હીકલ એક્ટની કલમ 1988 ની કલમ 52 મુજબ આ ગેરકાયદેસર છે. તેમજ કલમ 177, 184 અને 198A હેઠળ જોખમી ડ્રાઇવિંગ અને હાઈ બીમના દુરુપયોગ સામે દંડની જોગવાઈ છે.તે ઉપરાંત સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રુલ્સ 1989 જેવા ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ મુજબ લાઈટિંગ સ્ટાન્ડર્ડ અને કલર મર્યાદા નક્કી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા પણ 2025માં લ્યુમિનન્સ અને બીમ એંગલ અંગે કડક માર્ગદર્શિકા આપવામાં આવી હોવાનું રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે.માંગ કરવામાં આવી છે કે ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા ખાસ ડ્રાઈવ યોજી LED અને HID લાઈટ્સ દૂર કરાવવા, હાઈ બીમના અતિરેક ઉપયોગ પર કડક કાર્યવાહી કરવા તથા જનજાગૃતિ અભિયાન ચલાવવા તાત્કાલિક પગલાં લેવાં જોઈએ. સાથે સાથે મોડિફાઇડ સાયલેન્સર અને પ્રેશર હોર્ન જેવા નિયમવિરુદ્ધ સાધનો સામે પણ કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.
મહેસૂલ વિભાગ દ્વારા શુક્રવારે રાજ્યમાં 37 મામલતદારોની બદલી અને 165 નાયબ મામલતદારોને મામલતદારનું પ્રમોશન સાથે બદલી કરવામાં આવી છે. જે અંતર્ગત મહેસાણા જિલ્લામાં ફરજ બજાવતાં એક પણ મામલતદારની બદલી થઇ નથી, પરંતુ 14 નાયબ મામલતદારોની પ્રમોશન આપી બદલી કરાઇ છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતાં દિપક ગઢવીને પ્રમોશન આપી ઊંઝા મામલતદારની ફરજ સોંપાઇ છે.
વિજાપુરના ખરોડ- લાડોલ રોડ પર લોડીંગ રિક્ષાના ચાલકે ચાલતા જઈ રહેલા બે રાહદારીઓને ટક્કર મારી ઇજા પહોંચાડી હતી અને રોંગ સાઈડ જઈને કારને અથડાવી આગળના ભાગે નુકસાન પહોંચાડ્યું હતું. કારચાલકની ફરિયાદ આધારે લાડોલ પોલીસે રિક્ષાચાલક સામે ગુનો નોંધ્યો હતો. વિજાપુર તાલુકાના ખરોડ ગામના અશોકભાઈ ડાહ્યાભાઈ પટેલ ગુરુવારે સાંજે પત્ની સાથે કાર લઈ ખરોડથી લાડોલ તરફ જતા હતા. તે સમયે લાડોલ રોડ પર રોલિંગ મિલ આગળ લોડીંગ રિક્ષા (જીજે 02 વાયવાય 6034)ના ચાલકે ચાલતા જઈ રહેલા બે રાહદારીઓને ટક્કર મારી રોંગ સાઈડ આવી, તેમની ગાડીને આગળના ભાગે ટકરાવી હતી. તેમણે નીચે ઉતરીને જોતાં બે રાહદારીઓને ઇજા થઇ હતી. અકસ્માતને પગલે ઘટના સ્થળે ભેગા થયેલા લોકોએ 108 એમ્બ્યુલન્સની મદદથી બંને રાહદારીઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. અશોકભાઈની કારને આગળના ભાગે ટકરાવીને નુકસાન કરી રિક્ષા મૂકીને ચાલક ભાગી ગયો હતો.
બ.કાં.માં સૌથી વધુ 1.79 લાખ હેક્ટર:ઉ.ગુ.ની સવા 4 લાખ હેક્ટર જમીનમાં ઉનાળું વાવેતર થવાનો અંદાજ
ઉત્તર ગુજરાતની 4,28,164 હેક્ટર જમીનમાં ઉનાળુ વાવેતર થવાનો કૃષિ વિભાગે અંદાજ મૂક્યો છે. જે પૈકી બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 1,79,092 હેક્ટરમાં વાવેતર થઇ શકે છે. એટલે કે, કુલ વાવેતર પૈકી 42 ટકા વાવેતર બનાસકાંઠા થશે. જ્યારે વાવ-થરાદ જિલ્લાની 1,28,664 હેક્ટરમાં વાવેતર થવાનો અંદાજ છે, જે કુલ વાવેતરનો 30 ટકા હિસ્સો છે. આ ઉપરાંત, મહેસાણામાં 44977 હેક્ટર, સાબરકાંઠામાં 30662 હેક્ટર અને અરવલ્લીમાં 17278 હેક્ટરમાં વાવેતર થઇ શકે છે. બીજી બાજુ, ઉત્તર ગુજરાતના 6 જિલ્લાના 53 તાલુકામાં સૌથી વધુ 60 હજાર હેક્ટર વાવેતર ડીસા તાલુકામાં થવાનો અંદાજ છે. જ્યારે સૌથી ઓછું 295 હેક્ટર વાવેતર શંખેશ્વરમાં થઇ શકે છે. બોક્સ : ઉનાળામાં કુલ વાવેતર વિસ્તાર પૈકી માત્ર 20 ટકા જમીનમાં જ વાવેતર થાય છે ઉત્તર ગુજરાતમાં 21.96 લાખ હેક્ટર જમીન એવી છે કે જેમાં વાવેતર કરી શકાય છે. જે પૈકી 4.28 લાખ હેક્ટર જમીનમાં ઉનાળું વાવેતર થવાનો અંદાજ છે. સવાલ: ઉનાળામાં કયા પ્રકારની જમીન કેવી રીતે ખેડવી જોઇએ. તેમજ જમીનને તપાવવાથી શું ફાયદા થઇ શકે છે ? આ વિષય પર ભાસ્કર એક્સપર્ટ સવાલ : કયા પ્રકારની જમીનને કેવી રીતે ખેડવી જોઈએ? જવાબ : કાળી અને મધ્યમ જમીનને એમ.બી. પ્લાઉથી 1 થી 1.5 ફૂટ ઊંડી ખેડ કરવી. રેતીલી જમીનમાં ડિસ્ક પ્લાઉથી 0.75 થી 1 ફૂટ સુધી ખેડ કરવી. જમીનમાં કઠોર પડ હોય તો સબ-સોઈલરથી 1.5 થી 2 ફૂટ ઊંડી ખેડ કરવી. સવાલ : ઉનાળામાં જમીન ખેડીને તપાવવી કેમ જરૂરી છે? જવાબ : ઉનાળાની ગરમીથી જમીનમાં રહેલા જીવાતોના ઇંડા, લાર્વા અને પ્યુપા નષ્ટ થાય છે, જેના કારણે તેમનું જીવનચક્ર અટકે છે. જમીનજન્ય રોગો અને ફૂગનો ઉપદ્રવ ઘટે છે. સપાટી પરના નીંદણના બીજ નીચે દબાઈ જતા આગામી સીઝનમાં નિંદામણ ઓછું થાય છે. ડૉ.રાજદીપસિંહ જાડેજા (સહ સંશોધક-KVK,ભચાઉ)
ભાસ્કર સવાલ:કેનેડામાં રહેતા મોરબીના વતની પરિવારે પુત્રની લાલચમાં પરિણીતાનો બે વાર ગર્ભપાત કરાવ્યો
મોરબીના વતની અને કેનેડામાં કાયમી રહેઠાણ ધરાવતા હર્ષદ મનજીભાઈ કડીવાર સામે તેમના પત્નીએ પુત્રેષણામાં બે વાર ગર્ભપાત કરાવી દીધાનો અને અમાનુષી સિતમ ગુજાર્યાની મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં ઉમેર્યું હતું કે તેમને એક દીકરી તો છે પરંતુ દીકરાની લાલચે વાંકાનેરની શ્રદ્ધા હોસ્પિટલ તેમજ રાજકોટની સિદ્ધિ વિનાયક હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ કરાવ્યું હોવાનું અને ગર્ભમાં દીકરી હોવાની જાણ થતાં ગર્ભપાત કરાવ્યાનો ઉલ્લેખ કર્યો હતો. 2025માં આઈવીએફ માટે બે વખત થાઈલેન્ડ લઈ ગયા હતા. હોસ્પિટલ સામે તંત્ર શું એક્શન લેશે તે સવાલ? મોરબીમાં આરોગ્ય વિભાગના પીસી એન્ડ પીએનડીટીની દર ત્રણ મહિને બેઠક મળતી હોય છે, તંત્ર આ બેઠક દરેક વખતે બંધ બારણે યોજી લેતું હોય છે, ત્યારે આ વિભાગે મેટરનિટી હોમમાં કે રેડિયોલોજીસ્ટને ત્યાં તપાસ કરી હતી કે કેમ? તપાસમાં શું સામે આવ્યું? તે અંગેની કોઈ માહિતી જાહેર કરવામાં આવતી નથી ત્યારે હવે તંત્ર ક્યા પગલાં લે છે તે જોવાનું રહ્યું.
સુરત શહેરમાં ગુનાખોરીના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે, પરંતુ ડીંડોલી વિસ્તારમાં બનેલી ચોરીની એક તાજેતરની ઘટનાએ સૌ કોઈને અચંબામાં મૂકી દીધા છે. અહીં એક મંદિરમાં ચોરી કરવા આવેલા શખ્સે જે રીતે 'ભક્તિ' પ્રદર્શન કર્યું, તે જોઈને શ્રદ્ધાળુઓ અને પોલીસ બંને ચોંકી ગયા છે. આ સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જે હવે સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે. ડીંડોલી વિસ્તારમાં આવેલા મંદિરમાં ચોરીસીસીટીવી ફૂટેજ મુજબ, 11 ફેબ્રુઆરી ના રોજ સાંજે એક અજાણ્યો શખ્સ ડીંડોલી વિસ્તારમાં આવેલા માતાજીના મંદિરમાં પ્રવેશ કરે છે. મંદિરમાં પ્રવેશતાની સાથે જ તે કોઈ રીઢા ગુનેગારની જેમ નહીં, પરંતુ એક સાચા ભક્તની જેમ વર્તે છે. તે સૌથી પહેલા માતાજીની મૂર્તિ સમક્ષ નતમસ્તક થાય છે અને પગે લાગે છે. આટલેથી ન અટકતા, તે પોતાના કાન પકડીને જાણે કોઈ મોટી ભૂલ કરી રહ્યો હોય તેમ માતાજી પાસે માફી માંગતો પણ નજરે પડે છે. ત્યારબાદ આ ચોર માતાજીની મૂર્તિની બીજી બાજુ જાય છે. ત્યાં પણ તે ફરી એકવાર હાથ જોડીને પ્રાર્થના કરતો દેખાય છે. જોકે, આ પ્રાર્થના શ્રદ્ધાની નહીં પણ ડરની હોય તેવું જણાય છે, કારણ કે તે સતત આજુબાજુ નજર દોડાવતો રહે છે કે કોઈ તેને જોઈ તો નથી રહ્યું ને! મનમાં પાપ અને મોઢા પર પસ્તાવો હોય તેવા હાવભાવ સાથે તે થોડીવાર ત્યાં ઉભો રહે છે અને આખરે પોતાના અસલી ઈરાદા પર ઉતરી આવે છે. આસપાસ કોઈ ન દેખાતા દાનપેટીની ઉઠાંતરી કરીથોડી સેકન્ડોના આ હાઈ-વોલ્ટેજ ડ્રામા બાદ, જ્યારે તેને ખાતરી થાય છે કે આસપાસ કોઈ નથી, ત્યારે તે તુરંત જ માતાજીની પ્રતિમા પાસે રાખવામાં આવેલી ભારેખમ દાનપેટીને ઉચકે છે. જે હાથ થોડી વાર પહેલા પ્રાર્થનામાં જોડાયેલા હતા, તે જ હાથે દાનપેટી ઉઠાવી તે ગણતરીની સેકન્ડોમાં મંદિરની બહાર ફરાર થઈ જાય છે. ચોરી કરતા પહેલા ત્રણ વાર હાથ જોડવા અને કાન પકડવાની તેની આ પદ્ધતિએ લોકોમાં કુતૂહલ જગાડ્યું છે. સમગ્ર મામલે મંદિર સંચાલક દ્વારા ડીંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ફૂટેજમાં ચોરનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો હોવાથી પોલીસને આશા છે કે તે ટૂંક સમયમાં ઝડપાઈ જશે. જોકે, સ્થાનિકોમાં ચર્ચા છે કે ભલે ચોરે માતાજીની માફી માંગી હોય, પણ કાયદાના શિકંજામાંથી બચવું તેના માટે હવે અઘરું છે.
દક્ષિણ ગુજરાત માટે મહત્વપૂર્ણ નિર્ણય લેતાં કેન્દ્રીય કેબિનેટે નવા હાઈવે પ્રોજેક્ટને રૂ. 4583.64 કરોડની મંજૂરી આપી છે. પ્રોજેક્ટ અંતર્ગત 107 કિલોમીટર લાંબો 4 લેન હાઈવે બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટને PM Gati Shakti વિઝન હેઠળ મંજૂરી આપવામાં આવી છે, જે દેશભરમાં આધુનિક અને સંકલિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને ગતિ આપવાનો હેતુ ધરાવે છે.નવા મંજૂર કરાયેલા રસ્તાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા, તાપી અને સુરત જિલ્લાને ફાયદો થશે. પરિવહન ખર્ચ અને સમયમાં બચત થશેઆ નવા હાઈવેના નિર્માણથી દક્ષિણ ગુજરાતના આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોને મોટી રાહત મળશે. માર્ગ વ્યવસ્થા સુધરતા ઉદ્યોગ, કૃષિ અને વેપાર ક્ષેત્રને પ્રોત્સાહન મળશે તેમજ પરિવહન ખર્ચ અને સમય બંનેમાં ઘટાડો થશે. સ્થાનિક લોકો માટે રોજગારીના નવા અવસર ઉભા થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. નાયબ મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કેન્દ્રીય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ રાજ્યના સર્વાંગી વિકાસ માટે માઈલસ્ટોન સાબિત થશે. તેમણે ઉમેર્યું કે દક્ષિણ ગુજરાતને રાષ્ટ્રીય હાઈવે નેટવર્ક સાથે વધુ મજબૂત રીતે જોડવાથી વિસ્તારના આર્થિક વિકાસને નવી દિશા મળશે. હાઈવે પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ પ્રવાસ વધુ સલામત અને ઝડપી બનશે, સાથે જ પર્યટન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને પણ પ્રોત્સાહન મળશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેના સંકલનથી આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવાની દિશામાં પગલાં લેવામાં આવશે.
સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ શાકભાજી અને ફ્રુટ બજાર સહિતની જગ્યા ઉપર પ્લાસ્ટિકની થેલીઓ પર અસરકારક પ્રતિબંધ લાવવા માટે આદેશ કર્યો છે જેના પગલે અમદાવાદ શહેરમાં હવે પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ રાખનાર ફેરિયાઓ-વેપારીઓની સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે જેના માટેની રકમ નક્કી કરવામાં આવી છે. પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગના ભંગ બદલ પ્રથમ વખત રૂ .1000, બીજી વખત રૂ. 3000 અને ત્રીજી વખત રૂ. 5000નો દંડ ફટકારવામાં આવશે. દુકાનને સીલ કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે. દંડની રકમ નક્કી કરવા અંગેની દરખાસ્ત સોમવારે મળનારી સોલીડ વેસ્ટ કમિટીમાં મૂકવામાં આવી છે. કપડાની થેલીની પ્રથા અમલમાં લાવવા આદેશ કરવામાં આવ્યો રાજયમાં વિવિધ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ સહિતના મુદ્દે દાખલ કરાયેલી જાહેર હિતની રિટ અરજી બાબતે ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરાયેલ મહત્વનાં સૂચન મુજબ શાકભાજી બજાર અને ફ્રુટ બજાર સહિતના વિક્રેતાઓ પર પ્લાસ્ટિકની થેલીઓ પર અસરકારક પ્રતિબંધ લાદવા અને તેના બદલે કપડાની થેલીની પ્રથા અમલમાં લાવવા આદેશ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત અમદાવાદને પ્રતિબંધીત પ્લાસ્ટીક ફ્રી સિટી કરવા શહેરમાં વિવિધ સ્થળોએ આવેલા શાકભાજી માર્કેટ તથા ફુટ માર્કેટમાં તથા અન્યત્ર ધંધો-વેપાર કરતા તમામ ફેરિયાઓ અને ધંધાર્થીઓને પ્લાસ્ટીક વેસ્ટ રૂલ્સ-2016 અંતર્ગત 120 માઈક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટીકની થેલીઓ કે 60 Grams Per Square Meter (GSM)થી ઓછી જાડાઈની નોન-વુવન કેરી બેગનો વપરાશ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ બાબતે કાર્યવાહી કરવામાં આવે છે. ફેરિયાઓ અને ધંધાર્થીઓને નિયમભંગના કિસ્સામાં પેનલ્ટી લાગશેપ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ અંગેની કડક અમલવારી કરાવવા અને નિયમનો ભંગ કરતાં ફેરિયાઓ અને ધંધાર્થીઓને પ્રથમ વખતનાં ભંગનાં કિસ્સામાં રૂ. 1000, બીજી વખતનો કિસ્સામાં રૂ. 3000 અને ત્રીજી વખતનાં અને ત્યારબાદનાં કિસ્સામાં રૂ.5000ની રકમ પેનલ્ટી પેટે વસૂલ કરવામાં આવશે. ઝોન - સબઝોન વોર્ડ કક્ષાએથી અમલવારી કરવા તથા તે અંગે જરૂરી તમામ કાર્યવાહી કરવા સહિતની સત્તા મ્યુનિસિપલ કમિશનરને સોંપવા સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી માટેની દરખાસ્ત સોમવારે મળનારી સોલીડ વેસ્ટ કમિટીની બેઠકમાં લાવવામાં આવી છે, જેને મંજૂરી મળ્યા બાદ આગામી મહિનાથી દંડ વસૂલ કરવાની કાર્યવાહી કરવામાં આવી શકે છે. 16 લાખથી વધુ કાપડની થેલીઓનું વિતરણ શહેરીજનોને કરવામાં આવ્યું સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ હોવાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરેક નાગરિકો કોઈપણ ચીજવસ્તુ લેવા જાય ત્યારે ઘરેથી કાપડની થેલી સાથે લઈને જાય તેના માટે 16 લાખથી વધુ કાપડની થેલીઓનું વિતરણ શહેરીજનોને કરવામાં આવ્યું છે. બે વર્ષ પહેલાં પણ કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોર્પોરેશન દ્વારા નાગરિકોને ઘરે બે કાપડની થેલીઓ આપવામાં આવી છે અને લોકો પ્લાસ્ટિકની થેલીઓનું ઉપયોગ બંધ કરે તેના માટે જાગૃતિ લાવવામાં આવે છે. જોકે, કેટલાક વ્યાપારીઓ દ્વારા હજી પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કરવામાં આવતું હોય છે ત્યારે આવા વેપારીઓ અને ધંધાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદમાં નાના વેપારીઓ અને ધંધાર્થીઓને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ દંડ કરવા માટે રકમ નક્કી કરવા માં આવ્યું હોવાની દરખાસ્ત લાવવામાં આવી છે જોકે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા જે દરખાસ્ત લાવવામાં આવી છે પરંતુ તેમાં માત્ર નાના વેપારીઓ અને ધંધાર્થીઓને જ દંડ કરવા માટે ની જોગવાઈ કરવામાં આવી છે. પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવતી ફેક્ટરીઓ અને ગોડાઉન પર કાર્યવાહી કરવી જોઈએ શહેરના અનેક વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થાનો સંગ્રહ કરતા અનેક ગોડાઉનો આવેલા છે અને તેનું ઉત્પાદન પણ કરવામાં આવે છે આવી ફેક્ટરીઓ અને ગોડાઉન ઉપર કાર્યવાહી કરવી જોઈએ પરંતુ તેનો કોઈ કડક અમલ થતો નથી. શહેરના કાલુપુર, પ્રેમ દરવાજા સહિતના હોલસેલ સહિતના વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોય છે ત્યારે આવા લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી માટેની દરખાસ્તની માંગ ઉઠી છે.
સુરત શહેરમાં સોશિયલ મીડિયા પર એક ભયંકર આગનો વીડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સુરતના કેડિયા બેટ વિસ્તારનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, આ ઘટનામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે સુરત ફાયર વિભાગે સ્પષ્ટતા કરી કે, આ વિસ્તારમાં આગ લાગવાનો કોઈ 'કોલ' તેમને મળ્યો નથી. આ વિરોધાભાસને કારણે હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે. વીડિયોમાં શું દેખાઈ રહ્યું છે?સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં રાત્રિના અંધકારમાં કેડિયા બેટ વિસ્તારમાં ભીષણ આગ લાગેલી જોવા મળે છે. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઊંચે સુધી ઉડતા દેખાય છે. પ્રાથમિક માહિતી મુજબ, સ્થાનિક લોકોએ પોતાના મોબાઈલ ફોનમાં આ દ્રશ્યો કેદ કર્યા હતા. સામાન્ય રીતે આવી ભીષણ આગની ઘટના બને ત્યારે ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચતી હોય છે. પરંતુ, આ કિસ્સામાં આશ્ચર્યજનક બાબત એ છે કે સુરત ફાયર વિભાગ પાસે આવી કોઈ ઘટનાની નોંધ જ નથી. ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, તેમને કેડિયા બેટ વિસ્તારમાંથી આગ અંગેનો કોઈ સંદેશ મળ્યો નથી, કે કોઈ પણ ફાયર ફાઈટર ત્યાં મોકલવામાં આવ્યા નથી. એસઓજીની અગાઉની કાર્યવાહીકેડિયા બેટ વિસ્તાર ભૂતકાળમાં પણ વિવાદોમાં રહ્યો છે. થોડા સમય પહેલા જ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ આ વિસ્તારમાં દરોડા પાડીને મોટા પ્રમાણમાં ગેરકાયદેસર બાયો-ડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઈંધણના સંગ્રહ અને વેચાણની પ્રવૃત્તિઓ ચાલતી હોવાનું અગાઉ પણ સામે આવ્યું છે. વીડિયો સામે આવ્યા બાદ ઉઠતા તર્ક-વિતર્ક આગનો વીડિયો વાયરલ થયા બાદ અનેક શંકા-કુશંકાઓ સેવાઈ રહી છે:
ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશને એક ગ્રામ્ય વિસ્તારની નિરક્ષર, વિધવા પશુપાલક મહિલાને ન્યાય આપતો ગ્રાહકલક્ષી અને ગુણવત્તાલક્ષી ચુકાદો આપ્યો છે. સોજીત્રા તાલુકાના જનકબેન એચ. મહિડાએ અમૂલ ડેરીમાં દૂધ ભરીને ગુજરાન ચલાવતી વખતે નેશનલ ઇન્સ્યોરન્સ કંપનીમાં 38,000ની કેટર ઇન્સ્યોરન્સ પોલિસી લીધી હતી. વીમાકૃત ભેંસનું અચાનક ચકરી આવતાં મૃત્યુ થયું હતું, પરંતુ મૃત્યુ સમયે કાનમાં ટેગ (કડી) ન હોવાને કારણે વીમા કંપનીએ દાવો નકાર્યો હતો. આણંદ જિલ્લા ગ્રાહક કમિશને પણ પશુની ઓળખ સાબિત ન થતી હોવાનું કહીને ફરિયાદ રદ કરી હતી. જનકબેને ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ મારફતે ગુજરાત રાજ્ય કમિશનમાં અપીલ કરી હતી. ઇન્ચાર્જ પ્રમુખ આઇ. ડી. પટેલ અને મેમ્બર ડો. જે. જી. મેકવાને ફરિયાદીની દલીલો ગ્રાહ્ય રાખીને આણંદ જિલ્લા કમિશનના તા. 19.01.2017ના હુકમને રદબાતલ ઠરાવ્યો છે. કમિશને ઠરાવ્યું છે કે, ભેંસનું મૃત્યુ તા. 16.12.2015ના રોજ વહેલી સવારે થયું હતું અને આગલા દિવસે કાનની કડી નીકળી ગઈ હતી. ફરિયાદીએ તાત્કાલિક બેંકને જાણ કરી ફ્રેશ એરટેગ મેળવ્યું હતું, પરંતુ નવી કડી રીફિક્સ કરવાનો સમય ન મળ્યો. મૃત્યુ સમયે ટેગ ન હોવા છતાં એનિમલ હેલ્થ સર્ટિફિકેટ, દૂધ ઉત્પાદક સોસાયટીના સર્ટિફિકેટ અને અન્ય દસ્તાવેજી પુરાવાઓથી ભેંસની ઓળખ સાબિત થાય છે. કમિશને વધુમાં ઉલ્લેખ કર્યો છે કે, ફરિયાદી ગ્રામ્ય વિસ્તારની નિરક્ષર અને વિધવા મહિલા છે, જેનું પરિવારનું ભરણપોષણ ભેંસના દૂધ પર નિર્ભર છે. આણંદ જિલ્લા કમિશને કેસની હકીકતો અને પુરાવાઓને ધ્યાનમાં લીધા વિના ફરિયાદ રદ કરી હતી. કમિશને નેશનલ ઇન્સ્યોરન્સ કંપનીને રૂ. 38,000ની વીમા રકમ વાર્ષિક 8 ટકા વ્યાજ સાથે તેમજ અલગથી રૂ. 20,000ના ખર્ચા ચૂકવવા આદેશ આપ્યો છે. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે આ ચુકાદાને ગ્રાહકલક્ષી અને ગુણવત્તાલક્ષી તરીકે યાદગાર તથા ક્રાંતિકારી ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે, 10 વર્ષની કાનૂની લડત બાદ આણંદ જિલ્લાની એક ગરીબ, નિરક્ષર, વિધવા પશુપાલક મહિલાને આખરે ન્યાય મળ્યો છે. અમૂલ ડેરીના 36 લાખ પશુપાલકોના અમૂલ્ય પરિવારમાંથી એક ગરીબ મહિલાને ન્યાય મળ્યો હોવાનો સંપૂર્ણ સંતોષ વ્યક્ત કરતાં તેમણે આ ચુકાદાને પ્રશંસનીય ગણાવ્યો છે. આ ચુકાદો ગ્રામ્ય વિસ્તારના નિર્બળ વર્ગના લોકો માટે આશાનું કિરણ બની રહેશે.
સુરત મહાનગરપાલિકામાં વર્ષ 1998માં ભારે ચર્ચાયેલા 'લીલ સફાઈ' કૌભાંડનો મામલો ફરી એકવાર ગરમાયો છે. આ કેસમાં 26 વર્ષ પહેલાં નોકરીમાંથી બરતરફ કરવામાં આવેલા ભૂતપૂર્વ કર્મચારી દેવાંશુ સુધિરચંદ્ર દેસાઈએ કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર થયા બાદ હવે પોતાના હક્કો માટે પાલિકા કમિશનરને કાયદેસરની લીગલ નોટિસ ફટકારી છે. 1998માં કૌભાંડમાં સંડોવણીના આરોપસર બરતરફ કરાયા હતાદેવાંશુ દેસાઈ જેમની નિમણૂક 29 માર્ચ 1988 ના રોજ ક્લાર્ક તરીકે થઈ હતી, તેમને 1998 માં આ કૌભાંડમાં સંડોવણીના આરોપસર કોઈ પણ પ્રકારની વિભાગીય તપાસ કે નિયમસરની ચાર્જશીટ આપ્યા વિના જ સીધા બરતરફ કરી દેવામાં આવ્યા હતા. આ કાર્યવાહી કાયદેસરની પ્રક્રિયાનું ઉલ્લંઘન હોવાનો દાવો કરીને તેમણે લાંબી કાનૂની લડત લડી હતી. 26 વર્ષ બાદ નિર્દોષ જાહેરઆ કેસમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે 13 સપ્ટેમ્બર 2024ના રોજ સેશન્સ કોર્ટે તમામ આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કર્યા હતા. એડવોકેટ હિરનેશ ભાવસાર મારફતે મોકલેલી નોટિસમાં જણાવાયું છે કે, જ્યારે બરતરફીનો પાયો ગણાતો ફોજદારી કેસ જ સાબિત થયો નથી, ત્યારે બરતરફીનો આદેશ આપોઆપ અમાન્ય ઠરે છે. નોટિસમાં વધુમાં ઉલ્લેખ કરાયો છે કે 1998 થી લેબર કોર્ટમાં ચાલતો ઉદ્યોગ વિવાદ હજુ પેન્ડિંગ છે અને અગાઉ પાલિકાની કેટલીક અરજીઓ પણ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓને ટાંકીને દલીલ કરવામાં આવી છે કે સમાન આધાર પર થયેલી કાર્યવાહીમાં જો કર્મચારી નિર્દોષ છૂટે તો તેને તમામ રાહતો મળવી જોઈએ. બરતરફીનો આદેશ રદ કરી બાકી લાભ આપવા માગહવે, આ લીગલ નોટિસ દ્વારા સુરત પાલિકા અને રાજ્ય સરકાર પાસે માંગણી કરવામાં આવી છે કે દેવાંશુ દેસાઈની બરતરફીનો 26 વર્ષ જૂનો આદેશ રદ કરવામાં આવે. આ સાથે જ તેમને વર્ષ 1998થી અત્યાર સુધીના તમામ બાકી રહેલા સર્વિસ લાભો, પેન્શન અને બેક વેજીસ (બાકી પગાર) તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે. આ કિસ્સાએ સાબિત કર્યું છે કે પાલિકા માટે લીલ સફાઈ કેસનો વિવાદ હજુ પણ પીછો છોડતો નથી અને આગામી દિવસોમાં વહીવટી તંત્ર માટે આ મામલો મોટી કાનૂની ગૂંચ ઉભી કરી શકે છે.
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોભીયાણા ગામે એક લગ્ન વરઘોડા દરમિયાન પથ્થરમારાની ઘટના બની હતી. આ ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગામના એક યુવકે થોડા દિવસો પહેલાં એક યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આજે જ્યારે યુવકનો વરઘોડો ધામધૂમથી નીકળ્યો, ત્યારે યુવતીના પરિવારજનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ ઉગ્ર બનતા બે જૂથો સામસામે આવી ગયા અને પથ્થરમારો થયો હતો. પથ્થરમારામાં ભાવેશભાઈ ભીલ નામના યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને પ્રાથમિક સારવાર માટે રાજુલા હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યાંથી વધુ સારવાર અર્થે મહુવા હોસ્પિટલ રિફર કરાયા, પરંતુ સ્થિતિ વધુ ગંભીર જણાતા તેમને ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ ડુંગર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. હાલ પોલીસે આ મામલે ફરિયાદ નોંધવાની અને વધુ તપાસ હાથ ધરવાની કાર્યવાહી શરૂ કરી છે. ગામમાં હાલ તણાવપૂર્ણ પરંતુ નિયંત્રિત સ્થિતિ જોવા મળી રહી છે. સમગ્ર ઘટના અંગે એએસપી જયવીર ગઢવીએ જણાવ્યું કે, લગ્ન પ્રસંગ દરમિયાન આ ઘટના બની છે અને પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. ઘાયલોની વિગતો મેળવવામાં આવી રહી છે અને હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
સુરતમાં જમીન માલિકોને છેતરી કરોડોની જમીન પચાવી પાડવામાં માહેર ગણાતો આરોપી વિનુ હરીભાઈ માલવિયા ફરી એકવાર કાયદાના સકંજામાં આવ્યો છે. સુરત ઇકોનોમિક સેલ દ્વારા વેસુ વિસ્તારની કિંમતી જમીન હડપ કરવાના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. 11 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો વિનુ માલવિયા જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, ત્યારે તેનો અક્કડ મિજાજ અને મીડિયા પ્રત્યેનો તેનો ઉદ્ધત અભિગમ ચર્ચાનો વિષય બન્યો હતો. DCP કરણસિંહ રાજ વાઘેલાએ તેને 'રીઢો અને ચાલાક' ગુનેગાર ગણાવ્યો છે, જ્યારે વિનુ હજુ પણ પોતાની નિર્દોષતાનો ડોળ કરી રહ્યો છે. કોર્ટ દ્વારા ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. સ્ટેમ્પ પેપર પર બોગસ સાટાખત બનાવ્યાવેસુ ગામના નવા બ્લોક/સર્વે નંબર 311/2 વાળી કરોડોની જમીન પચાવી પાડવા માટે વિનુ માલવિયા અને તેના સાગરિત પ્રતુલ પટેલે એક મસમોટું ગુનાહિત કાવતરું રચ્યું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ બંને શખસોએ નવી શરતની જમીન, જેનું વેચાણ કાયદેસર રીતે શક્ય નથી, તેના બોગસ સાટાખતો બનાવ્યા હતા. આરોપીઓએ જુની તારીખના સ્ટેમ્પ પેપર મેળવી, તેના પર બનાવટી લખાણો ઊભા કર્યા હતા. આ કેસની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે સ્ટેમ્પ રજીસ્ટ્રેશન નંબર 5062 વાળા એક જ સ્ટેમ્પ પેપર પર બે અલગ અલગ તારીખો (16/08/2001 અને 26/05/2001) લખીને અલગ અલગ સાટાખતો તૈયાર કરવામાં આવ્યા હતા. 11 ગુનાઓના આરોપીની ટંગડી ઊંચીને ઊંચીવિનુ માલવિયાની ધરપકડ બાદ તેને જ્યારે મીડિયા સમક્ષ લાવવામાં આવ્યો ત્યારે તેનો એટીટ્યુડ કોઈ રીઢા અપરાધી જેવો જ હતો. મીડિયાના કેમેરા જોઈને ભડકેલા વિનુએ કહ્યું હતું કે, કોઈની બેઈજ્જતી ન કરો, હજી તો તપાસ ચાલે છે. મીડિયામાં છાપીને તમને શું મળવાનું છે? આ કોર્ટની કોઈ પ્રોસિજર નથી. 11 જેટલા ગુનાઓ જેની પર નોંધાયેલા છે તેવો આરોપી નૈતિકતા અને મર્યાદાની વાતો કરતો જોઈ પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. તેની આંખોમાં કાયદાનો કોઈ ડર દેખાતો નહોતો, ઉલટાનું તે મીડિયાકર્મીઓને જ શિખામણ આપતો જોવા મળ્યો હતો. પૂછપરછમાં પોલીસને પણ ગોળ ગોળ ફેરવીસુરત ઇકોનોમિક સેલના DCP કરણસિંહ રાજ વાઘેલાએ આ મામલે કડક વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે વિનુ માલવિયા એક જાણીતો અને રીઢો ગુનેગાર છે. તે પોલીસ તપાસમાં જરા પણ સહકાર આપી રહ્યો નથી અને પ્રશ્નોના ગોળ-ગોળ જવાબ આપીને તપાસ અધિકારીઓને ગેરમાર્ગે દોરી રહ્યો છે. DCP એ વધુમાં ઉમેર્યું હતું કે આરોપી એટલો ચાલાક છે કે તે પોતાની ગુનાહિત પદ્ધતિઓને છુપાવવા માટે સતત પ્રયત્નો કરી રહ્યો છે, પરંતુ પોલીસ તેની કુંડળી ખંગાળી રહી છે. વિનુ માલવિયા સામે અત્યાર સુધીમાં નોંધાયા છે 11 ગુનાઇકો સેલના ડીસીપી કરણરાજ સિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, વીનુ માલવિયા જાણીતો ગુનેગાર છે, સુરત શહેરની અંદર ટોટલ અલગ-અલગ 11 જેટલા એની વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલા છે અને એનો ગુનાઈત ઇતિહાસ 2009થી આજ સુધીનો છે. 2009થી 2026ની વચ્ચે એની વિરુદ્ધમાં અલગ-અલગ 11 ગુનાઓ દાખલ થયેલા છે જેની અંદર 8 જેટલા ગુનાઓ આ જ પ્રકારના છેતરપિંડી અને ફોર્જરીના 406, 420, 465, 67, 68, 71ના ગુનાઓ છે. એ ઉપરાંત એક એક્સટોર્શનનો ગુનો પણ એની વિરુદ્ધમાં દાખલ થયેલો છે, એક રાયોટિંગનો ગુનો પણ એની વિરુદ્ધમાં દાખલ થયેલો છે અને એક આઈ.ટી.એક્ટનો ગુનો પણ એની વિરુદ્ધમાં દાખલ થયેલો છે. ન્યાયતંત્ર સાથે છેતરપિંડીના ગંભીર આક્ષેપોફરિયાદી તરફે ડો. શૈલેષ આર.પટેલ- એડવોકેટ હાજર રહ્યા હતા.પોલીસે કોર્ટમાં રજૂ કરેલા રિમાન્ડ ગ્રાઉન્ડ્સમાં જણાવ્યું છે કે આરોપીઓએ માત્ર દસ્તાવેજો જ બોગસ નથી બનાવ્યા, પરંતુ નામદાર કોર્ટને પણ ગેરમાર્ગે દોરી છે. આરોપી પ્રતુલ પટેલે વિનુ માલવિયા સાથે મળીને વર્ષ 2002 માં એક દીવાની દાવો દાખલ કર્યો હતો. જેમાં મૂળ જમીન માલિકોની હાજરી વિના, તેઓની કોરા કાગળ પર મેળવેલી સહીઓનો ઉપયોગ કરી બોગસ 'સમાધાન પુરસીસ' રજૂ કરી હતી. આ રીતે આરોપીઓએ ન્યાયિક પ્રક્રિયાનો દુરુપયોગ કરી ખોટા હુકમનામા મેળવી લીધા હતા, જેની જાણ વર્ષો પછી મૂળ માલિકોને થઈ હતી. પોલીસે રિમાન્ડ મેલવવા 12 મુદ્દાઓ રજૂ કર્યારિમાન્ડની માંગણી કરતા પોલીસે 12 જેટલા મુખ્ય મુદ્દાઓ રજૂ કર્યા હતા. પોલીસનું કહેવું છે કે અસલ બોગસ સાટાખતો કબજે કરવાના બાકી છે. સ્ટેમ્પ રજીસ્ટ્રેશન નંબર 5062 વાળો સ્ટેમ્પ ક્યાંથી અને કોની પાસેથી મેળવ્યો તેની તપાસ કરવી જરૂરી છે. આ ઉપરાંત, આ કૌભાંડમાં પડદા પાછળ રહીને મદદ કરનારા અન્ય સફેદપોશ શખ્સોની સંડોવણીની પણ પૂરેપૂરી શક્યતા છે. આરોપી પોલીસ કસ્ટડીમાં ન હોય તો પુરાવાઓ સાથે ચેડા કરી શકે તેમ છે, તેથી તેની સઘન પૂછપરછ અનિવાર્ય છે. સ્ટેમ્પ વેન્ડરોની ભૂમિકા અને બનાવટી સહીઓતપાસ દરમિયાન એ પણ બહાર આવ્યું છે કે, આ ટોળકીએ સ્ટેમ્પ વેન્ડર એમ.એ. વાળંદ અને રમેશ આર. પટેલ પાસેથી મેળવેલા સ્ટેમ્પોનો દુરુપયોગ કર્યો છે. 16/08/2001 ના રોજ 600,000ની વેચાણ કિંમત દર્શાવતું સાદું નોટરી વગરનું સાટાખત ઉભું કરવામાં આવ્યું હતું. ન્યાયિક પ્રક્રિયામાં આંક-3 ના લિસ્ટમાં નિશાની-3/2 થી રજૂ કરાયેલ આ દસ્તાવેજ સંપૂર્ણપણે બનાવટી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. આરોપીઓએ કોર્ટમાં એવી રીતે રજૂઆત કરી હતી કે જાણે તમામ પક્ષકારો સંમત હોય, પરંતુ વાસ્તવમાં મૂળ માલિકોને આ વાતની જાણ નહોતી. ગુનાહિત ઇતિહાસ અને ફરાર સાથીદારપોલીસે કોર્ટને જણાવ્યું હતું કે વિનુ માલવિયા વિરુદ્ધ ભૂતકાળમાં DCB પોલીસ સ્ટેશનમાં પણ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તે પોલીસની કાર્યપદ્ધતિથી વાકેફ હોવાથી સીધી રીતે કોઈ હકીકત ઉગલતો નથી. હજુ આ કેસમાં મુખ્ય આરોપી પ્રતુલ પટેલ ફરાર છે, જે ક્યાં છુપાયો છે તેની માહિતી પણ વિનુ પાસે હોવાની શક્યતા છે. સાથોસાથ, કોર્ટના રેકોર્ડમાંથી અસલ સાટાખત ગુમ થવાની ઘટના પણ શંકાસ્પદ છે, જે અંગે અલગથી તપાસની જરૂર છે. રાજ્યવ્યાપી કૌભાંડની આશંકા અને હાઈકોર્ટની કાર્યવાહીઆ સમગ્ર કૌભાંડ માત્ર એક જમીન પૂરતું સીમિત ન રહેતા રાજ્યવ્યાપી સ્ટેમ્પ કૌભાંડ હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. જૂની તારીખના સ્ટેમ્પ પેપરો કેવી રીતે ઉપલબ્ધ થાય છે અને તેમાં કોણ કોણ સામેલ છે, તે દિશામાં પણ ઇકોનોમિક સેલ તપાસ કરી રહી છે. નામદાર હાઈકોર્ટમાં પણ આ જમીન બાબતે સિવિલ એપ્લિકેશન નંબર 2778/2022 થી જમીન માલિક વિજયભાઇ રમણભાઇ પટેલ વિગેરે નાઓએ સિવિલ કોર્ટના હુકમનામાને ચેલેન્જ કરેલ છે. વિનુ માલવિયાના ચાર દિવસના રિમાન્ડ મંજૂરઅંતે, પોલીસે આરોપી વિનુ માલવિયાના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, કોર્ટે ગુનાની ગંભીરતા અને તપાસની જરૂરિયાતને ધ્યાને રાખી આરોપી વિનુ માલવિયાના તારીખ 18/02/2026 ના બપોરે 14:00 કલાક (2:00 વાગ્યા) સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે આગામી દિવસોમાં પોલીસ પૂછપરછમાં આ જમીન કૌભાંડના અન્ય કેટલા મહારથીઓના નામ ખુલે છે, તેના પર સૌની નજર રહેશે.
રાજકોટના રેલનગર કર્ણાવતી સ્કૂલ પાછળ મહર્ષિ દયાનંદ સરસ્વતિ ટાઉનશીપમાં છઠ્ઠા માળે બ્લોક નં. બી-608માં રહેતાં મગનભાઈ રતિલાલ દવે (ઉ.વ.78) તેમના પરિવારજનો સાથે રહે છે. 14 દિવસ પહેલા મગનભાઈ દવે અને પરિવારના સદસ્યો ઘરને તાળા મારી હરિદ્વારની જાત્રાએ ગયા હતા ત્યારે શુક્રવારે રાતે તેઓ પરત આવ્યા અને ઘરે પહોંચ્યા ત્યારે દરવાજા નીચેથી ધૂમાડા નીકળતાં હોઈ આગ લાગ્યાનું જણાતાં 112માં જાણ કરતો ત્યાંથી રાજકોટ ફાયર બ્રિગેડને કોલ અપાયો હતો. જે બાદ પાણીનો મારો ચલાવી રાખ પણ કાબુ મેળવી લેવાયો હતો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે અને તેમાં ઘરવખરી જતા મોટું નુકસાન પહોંચ્યું હતુ. ફાયર બ્રિગેડ ટીમના સ્ટાફને જાણ થતા તુરંત પહોંચી છઠ્ઠા માળે લાગેલી આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી હતી અને 25 મિનીટ બાદ આગ સંપુર્ણ કાબુમાં લીધી હતી. ઘરધણી મગનભાઈ દવેના કહેવા મુજબ આગ શોર્ટ સરકીટથી લાગી હોવાની શક્યતા છે. બીજા રહેવાસીઓના કહેવા મુજબ બે દિવસ પહેલા લાઈનમાં ધડાકા થયા હતાં. આ ઘરમાં ડીસી સ્વીચમાં સ્પાર્ક થવાને કારણે તણખા નીકળ્યા હોઈ કદાચ તેના કારણે આગ લાગી હશે. આ આગમાં ઘરવખરી જેવી કે શેટી, ગાદલા ગોદડા એમ બધુ જ બળી ગયું હોઈ મોટી નુકસાની થઈ છે. પરિવારજનો 14 દિવસથી હરિદ્વાર હતા. ગત રાતે પરત આવ્યા ત્યારે જ આગ ભભુકી ઉઠતાં બીજા રહેવાસીઓ પણ મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતાં.સદ્દનસિબે કોઈ જાનહાની થઇ નથી. તેમ ફાયર બ્રિગેડના સુત્રોએ જણાવ્યું હતુ.
જૂનાગઢની પવિત્ર ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના પર્વે ભક્તિની સાથે શિક્ષણનો પણ મહિમા ગવાયો હતો. ભારતી આશ્રમ ખાતે પૂજ્ય સંત શ્રી હરિહરાનંદ બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી પસંદ કરાયેલા 40 જેટલા શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના નાણા અને પોલીસ હાઉસિંગ વિભાગના રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શિક્ષકોના કાર્યને રાષ્ટ્ર નિર્માણનું પાયાનું કાર્ય ગણાવ્યું હતું. શિક્ષકોને સતત પ્રોત્સાહન મળતું રહે તે માટે દર વર્ષે આયોજન કરાશેભારતી આશ્રમમાં આયોજિત આ સમારોહમાં પૂજ્ય સંત શ્રી હરિહરાનંદ બાપુ, રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલ અને ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાના હસ્તે શિક્ષણ ક્ષેત્રે નવીન પ્રયોગો કરનાર અને વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓમાં વિશેષ યોગદાન આપનાર શિક્ષકોને શાલ, મોમેન્ટો અને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે હરિહરાનંદ બાપુએ ભાવ વ્યક્ત કર્યો હતો કે, શિક્ષકોને સતત પ્રોત્સાહન મળતું રહે તે માટે દર વર્ષે શિવરાત્રીના પર્વે આવા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવશે. સંસ્કારવાન બનાવવાની જવાબદારી સંતો અને શિક્ષકોના ખભે છેરાજ્યમંત્રી કમલેશભાઈ પટેલે સન્માનિત શિક્ષકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, સંતોના આશીર્વાદ સાથે શિક્ષકોનું સન્માન થવું એ એક સૌભાગ્યની વાત છે. તેમણે ઉમેર્યું કે, જીવનમાં જો કક્ષા કેળવવામાં આવશે તો રક્ષા આપોઆપ થશે. સમાજમાં યુવાનોને વ્યસનમુક્ત કરવા અને સંસ્કારવાન બનાવવાની જવાબદારી સંતો અને શિક્ષકોના ખભે છે. આ તકે તેમણે ભારતી આશ્રમ સાથે જોડાયેલા પોતાના જૂના સંસ્મરણો પણ તાજા કર્યા હતા. સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓમાંથી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 5 થી 6 શિક્ષકોની પસંદગીધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ પણ પ્રાસંગિક સંબોધન કરી રાષ્ટ્રના ઘડવૈયા સમાન શિક્ષકોના ઉત્સાહને વધાર્યો હતો. આ કાર્યક્રમમાં મહામંડલેશ્વર ભારતી બાપુની પ્રેરણાથી આયોજિત આ સન્માન વિધિમાં સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓમાંથી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 5 થી 6 શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રકારના આયોજનોથી શિક્ષણ જગતમાં નવો ઉત્સાહ સંચરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. અનેક સંતો-મહંતો અને મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યાસન્માન મેળવનાર અમરેલીની બહારપરા કન્યા શાળાના શિક્ષક નીતાબેને આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભવનાથ તળેટી જેવા પવિત્ર સ્થળે અને પૂજ્ય બાપુના આશ્રમ દ્વારા જે સન્માન મળ્યું છે તેનાથી અમે ગૌરવ અનુભવીએ છીએ. આ સન્માન અમને શિક્ષણ ક્ષેત્રે વધુ સારી કામગીરી કરવાની પ્રેરણા પૂરી પાડશે. આ પ્રસંગે અનેક સંતો-મહંતો અને મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી આગામી 6 માર્ચે યોજાવાની છે. આ ચૂંટણી દ્વારા આગામી 5 વર્ષ માટે BCGની નવી કમિટીની રચના કરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત કુલ 103 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી તપાસ બાદ 99 એડવોકેટ ઉમેદવારોના ફોર્મ માન્ય ઠરાવવામાં આવ્યા છે. બે ઉમેદવારોના ફોર્મમાં ખામીઓ હોવાને કારણે તે રદ્દ કરવામાં આવ્યા છે, જ્યારે બે ઉમેદવારોએ સ્વેચ્છાએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે. ચૂંટણીમાં ઓછામાં ઓછા 5 મહિલા ઉમેદવારોની પસંદગી ફરજિયાત આ રીતે હવે ચૂંટણીમાં 99 ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે. આ ચૂંટણીમાં ખાસ ધ્યાન ખેંચે એવી બાબત એ છે કે, 30 ટકા મહિલા ઉમેદવારોના પ્રતિનિધિત્વની ખાસ બાબત અમલમાં મૂકવામાં આવી છે. કુલ 23 સભ્યો માટેની ચૂંટણીમાં ઓછામાં ઓછા 5 મહિલા ઉમેદવારોની પસંદગી ફરજિયાત રહેશે. આ ઉપરાંત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા 5 મહિલા ઉમેદવારોની કો-ઓપ્શન મારફતે નિમણૂક કરવામાં આવશે. વકીલ મતદારોની સુવિધા વધુ મજબૂત બનાવવા માટે બે પોલિંગ સ્ટેશન ઉભા કરવાની સંમતિ અપાઈવકીલ મતદારોની સુવિધા વધારવા માટે આ વખતે પ્રથમ વખત બે અલગ-અલગ પોલિંગ સ્ટેશન પર મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. એક પોલિંગ સ્ટેશન ગુજરાત હાઇકોર્ટ ખાતે રહેશે, જ્યારે બીજું પોલિંગ સ્ટેશન ગુજરાત યુનિવર્સિટી કેમ્પસના અટલ કલામ હોલ ખાતે ઉભું કરવામાં આવશે. આ વ્યવસ્થાના કારણે શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી આવતા વકીલોને મતદાનમાં સરળતા મળશે.આ નિર્ણય 27 ડિસેમ્બર, 2025ના રોજ યોજાયેલી જનરલ બોડી મિટિંગમાં લેવામાં આવ્યો હતો, જેમાં વકીલ મતદારોની સુવિધા વધુ મજબૂત બનાવવા માટે બે પોલિંગ સ્ટેશન ઉભા કરવાની સંમતિ અપાઈ હતી. ચૂંટણી દિવસે સવારે 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. વકીલ સમાજમાં પ્રતિનિધિત્વ, પારદર્શિતા અને સમાનતા માટે મહત્વપૂર્ણ પગલુંરાજ્યભરમાંથી 76,579 હજારથી વધુ વકીલ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ ચૂંટણી પ્રક્રિયા સુપ્રીમ કોર્ટના 18 નવેમ્બર 2025ના ‘વરધાન વર્સેસ યુનિયન ઓફ ઇન્ડિયા’ તથા 18 ડિસેમ્બર 2025ના ‘યોગમાયા એમ.જી. વર્સેસ યુનિયન ઓફ ઇન્ડિયા’ના ચુકાદાઓના આધારે હાથ ધરવામાં આવશે. ખાસ કરીને મહિલા અનામત સંબંધિત આ જજમેન્ટને અનુસરીને ચૂંટણીની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આ ચૂંટણી માત્ર વહીવટી પ્રક્રિયા નહીં પરંતુ વકીલ સમાજમાં પ્રતિનિધિત્વ, પારદર્શિતા અને સમાનતા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.
જમીન દલાલી અને ગેલેક્ષી ગ્રૂપ કન્સ્ટ્રક્શનના વેપાર સાથે સંકળાયેલા બિલ્ડર શેલા ખાતેના ઘરેથી મર્સીડીઝ કારમાં બેસીને ડ્રાઇવર સાથે ઓફિસે જવા નીકળ્યા હતા. ત્યારે તેમના ઘર નજીક જ એક કારમાં આવેલા શખસોએ ગાડી અથડાવીને બિલ્ડર પર લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો. જે બાદ અન્ય ગાડીમાં આવેલા શખ્સોએ પણ લાકડી અને પાઇપથી હુમલો કરીને બિલ્ડરને લોહીલુહાણ કરી નાખ્યા હતા. આ મામલે બોપલ પોલીસને જાણ કરાતા પોલીસે ગુનો નોંધી CCTVના આધારે આરોપીઓ સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા છે. સ્વીફ્ટ ગાડીના ચાલકે આવીને ગાડી ભટકાવી હતીશેલામાં આવેલા નંદનબાગમાં રહેતા હેમાંગ ભટ્ટ જમીન દલાલી અને ગેલેક્ષી ગ્રૂપ કન્સ્ટ્રક્શનના વેપાર સાથે સંકળાયેલા છે. 13 ફેબ્રુઆરીના સવારે મર્સીડીઝ કારમાં ડ્રાઇવર સાથે નરોડા ખાતેની ઓફિસે જવા નીકળ્યા હતા. ડ્રાઇવરે કાર સોસાયટીમાંથી બહાર કાઢી ત્યારે નંદનબાગ રોડ ચાર રસ્તા પાસે સ્વીફ્ટ ગાડીના ચાલકે આવીને ગાડી ભટકાવી હતી. સ્વીફ્ટ ગાડીમાંથી ઉતરેલા બે શખ્સોએ લોખંડની પાઇપથી હેમાંગભાઇ પર હુમલો કર્યો હતો. અજાણ્યા શખસો મારી નાખવાની ધમકી આપીને ફરાર થઇ ગયા આ દરમિયાનમાં અન્ય એક ગાડીમાં ચારેક શખસોએ આવીને લાકડી અને લોખંડની પાઇપથી હેમાંગભાઇને આડેધડ મારીને લોહીલુહાણ કરી નાખ્યા હતા. કેટલાક શખસોએ ડ્રાઇવરને પકડી રાખ્યો હતો અને ડ્રાઇવર શેઠને બચાવવા વચ્ચે પડતા આરોપીઓએ તેને પણ માર માર્યો હતો. ત્યાંથી પસાર થતા લોકો આવી જતા આ શખસો મારી નાખવાની ધમકી આપીને ફરાર થઇ ગયા હતા. હાલ બોપલ પોલીસે ગુનો નોંધી આસપાસના CCTV ને આધારે તપાસ હાથ ધરી છે.
પિતાની મિલકતમાં હિસ્સો મેળવવાની મુસ્લિમ મહિલાની અરજી હાઇકોર્ટે ફગાવી દેતાં હાઇકોર્ટે એવું તારણ પ્રસ્તુત કર્યું છે કે, પૈતૃક મિલકત અને જન્મસિદ્ધ અધિકાર મુસ્લિમ કાયદામાં સંપૂર્ણપણે લાગૂ પડતા નથી. આ મામલે હાઈકોર્ટની સિંગલ જજની બેંચે ચુકાદો આપ્યો છે કે, હિન્દુ કાયદામાં વ્યાખ્યાયિત સંયુક્ત કુટુંબ મિલકત વારસાગત મિલકત અને જન્મસિદ્ધ અધિકાર જેવા ખ્યાલો મુસ્લિમ કાયદા હેઠળના વિવાદોમાં લાગુ કરી શકાતા નથી. એક મુસ્લિમ મહિલા દ્વારા કરવામાં આવેલી અપીલમાં નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલા વચગાળાના મનાઈ હુકમને રદ કરતાં હાઇકોર્ટે ઉક્ત અવલોકન કર્યું છે. વડોદરામાં સ્થાવર મિલકતોના હિસ્સા અંગે ભાઈ-બહેનો વચ્ચે લાંબા સમયથી ચાલતા કૌટુંબિક વિવાદને લગતા આદેશો સામેની સિવિલ રિવિઝન અરજીઓ અને અપીલોના કેસની સુનાવણી બાદ હાઇકોર્ટે ઉપરોક્ત આદેશ કર્યો હતો. હિન્દુ કાયદાથી વિપરીત, મુસ્લિમ કાયદામાં વારસો ચઢતા ક્રમમાં હોતો નથીહાઇકોર્ટે ઠરાવ્યું હતું કે મુસ્લિમ કાયદો નેમો એસ્ટ હેરેસ વિવેન્ટિસ - જીવિત વ્યક્તિનો કોઈ વારસદાર હોતો નથી ના સિદ્ધાંત અથવા લેટિન શબ્દસમૂહને માન્યતા આપે છે. વારસદાર પછી ભલે તે પ્રત્યક્ષ હોય કે સંભવિત, તેને કોઈ વારસાગત અધિકારો નથી કે જેનાથી તે કબજેદાર દ્વારા કરવામાં આવેલા કોઈપણ વેચાણ અથવા ભેટ સામે વાંધો ઉઠાવી શકે. હિન્દુ કાયદાથી વિપરીત, મુસ્લિમ કાયદામાં વારસો ચઢતા ક્રમમાં હોતો નથી. મિલકતને પૂર્વજોની મિલકત તરીકે દાવો કરવા અંગે, વ્યક્તિએ જન્મસિદ્ધ અધિકારનો દાવો કરવો પડે છે તે વિચાર અથવા પ્રથા મુસ્લિમ કાયદાના સિદ્ધાંતો દ્વારા માન્ય નથી. આ વિચાર કે પ્રથા ઇસ્લામિક કાયદાના સિદ્ધાંતો દ્વારા માન્ય નથી. મુસ્લિમ કાયદા અનુસાર, કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિના વારસામાં તેના મૃત્યુ પછી જ ભાગ લઈ શકે છે. જેના અધિકારો અલગ અને વિશિષ્ટ છે અને જે વ્યક્તિનો તે વારસદાર છે તેના મૃત્યુ પછી તરત જ ઉદ્ભવે છે. જીવંત વ્યક્તિનો કોઈ વારસદાર નથીહાઇકોર્ટે આદેશમાં એમ પણ ઠરાવ્યું છે કે સંપત્તિ કે મિલ્કતના કિસ્સામાં મુસ્લિમ જન્મથી કોઈ હકનો દાવો કરી શકતા નથી, જેમ કે હિન્દુ લોકો કરી શકે છે. મુસ્લિમ પરિવારના સભ્યો વચ્ચેનો સંબંધ હિન્દુ પરિવારના સભ્યો કરતા અલગ છે. મુસ્લિમ પક્ષકારો વચ્ચેના કેસોનો નિર્ણય લેતી વખતે સંયુક્ત કુટુંબ, સંયુક્ત કુટુંબની મિલકત અથવા સંયુક્ત કુટુંબ ભંડોળ અંગે હિન્દુ કાયદાની ધારણાને સંપૂર્ણપણે ભૂલી જવી પડે. આમ, પૂર્વજોની મિલકતનો ખ્યાલ મુસ્લિમ કાયદાના સિદ્ધાંતથી સંપૂર્ણપણે અજાણ છે કારણ કે, મુસ્લિમ કાયદો જન્મથી અધિકારને માન્યતા આપતો નથી, પરંતુ તે સ્વીકારે છે કે જીવંત વ્યક્તિનો કોઈ વારસદાર નથી. તેવી જ રીતે સંયુક્ત કુટુંબનો ખ્યાલ મુસ્લિમ કાયદાથી અજાણ છે. સંયુક્ત પરિવારની વિભાવના ફક્ત એક જ પરિવારના ઘણા સભ્યોના સમૂહનું સુચન આપે છે, નહીં કે અલગ રહેતા લોકોના એક ગૃપનું. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં મૃત્યુ પામેલા માતાપિતાની એક પુત્રીએ તેના ભાઈઓના નામે રહેલી ઘણી મિલકતોમાં હિસ્સો મેળવવા માટે દાવો દાખલ કર્યો હતો. જેમાં દલીલ કરવામાં આવી હતી કે તે કૌટુંબિક આવકમાંથી જ ખરીદવામાં આવી હતી અને તેથી તેને સંયુક્ત કુટુંબ અને પૂર્વજોની મિલકત તરીકે ગણવામાં આવવી જોઇએ. આ મામલે ટ્રાયલ કોર્ટે તેમને વચગાળાની આંશિક રાહત પણ આપી હતી.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના સીમલીયા ગામે નવનિર્મિત ગુજરાતી પ્રાથમિક શાળાના ઓરડાના બાંધકામમાં વ્યાપક ગેરરીતિના આક્ષેપ સાથે સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો. ગ્રામજનોએ બાંધકામની કામગીરી અટકાવી દીધી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે શાળાના ઓરડાના બાંધકામમાં અત્યંત હલકી ગુણવત્તાની સામગ્રી વાપરવામાં આવી રહી છે. આક્ષેપ મુજબ, બાંધકામમાં પ્લાન કરતા માત્ર 50% સ્ટીલનો જ ઉપયોગ થયો છે. એન્જિનિયરિંગ પ્લાન મુજબ જે બીમમાં 48 રિંગ હોવી જોઈએ, તેને ગ્રામજનોની હાજરીમાં તોડીને જોતા માત્ર 24 રિંગ જ મળી આવી હતી. સ્થળ પર હાજર એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરનો ગામના આગેવાનોએ ઉધડો લીધો હતો. બાળકોના ભવિષ્ય અને સુરક્ષા સાથે થઈ રહેલી આ ચેડાં સહન કરવામાં નહીં આવે તેવી ચીમકી સાથે હાલ બાંધકામની કામગીરી બંધ કરાવી દેવામાં આવી છે. સીમલીયા ગામના લોકોએ ઉચ્ચ કક્ષાએથી અધિકારીઓ દ્વારા આ બાંધકામની તપાસ કરવાની અને જવાબદાર કોન્ટ્રાક્ટર તેમજ ઇજનેર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સગીર યુવતીઓની છેડતી કરનાર આરોપી સામે કડક કાર્યવાહી:PASA હેઠળ અમદાવાદ જેલમાં ધકેલાયો
પોરબંદર જિલ્લામાં સગીર વયની યુવતીઓ સાથે અશ્લીલ ચેનચાળા અને છેડતીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ અનુસાર, આરોપીને P.A.S.A. (Prevention of Anti-Social Activities Act) હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલ ખાતે મોકલવામાં આવ્યો છે. પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ રિતુ રાબાના માર્ગદર્શન હેઠળ શહેર વિભાગ દ્વારા આરોપી વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, આરોપી હિતેશ નાથાલાલ કોટીયા (ઉંમર 40), રહે. ખાપટ, મેરેડીયન સિનેમાવાળી ગલી, પોરબંદર, મેમણવાડા વિસ્તારમાં રાત્રિના સમયે ઇલેક્ટ્રિક મોટરસાયકલ પર આટાફેરા કરી સગીર વયની યુવતીઓ સાથે અશ્લીલ હરકતો કરતો હતો. તે યુવતીઓના શરીરે ટપલીઓ મારી ભાગી જતો અને સતત છેડતી કરતો હોવાની અનેક ફરિયાદો સામે આવી હતી. આ મામલે કિર્તીમંદિર પોલીસ સ્ટેશન ખાતે અલગ-અલગ ચાર ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. નોંધાયેલા ગુનાઓમાં BNS કલમ ૭૪, ૭૫(૧)(૧), ૭૮(૧)(૧) તેમજ POCSO Act, 2012 ની કલમ ૧૨નો સમાવેશ થાય છે. પોલીસ અધિક્ષક ભાગીરથસિંહ જાડેજાની સૂચના અનુસાર, કિર્તીમંદિર પોલીસ સ્ટેશનના પો. ઇન્સ્પેક્ટર જે.જે. ચૌધરીએ આરોપી વિરુદ્ધ P.A.S.A. હેઠળ દરખાસ્ત તૈયાર કરી હતી. આ દરખાસ્ત પોલીસ અધિક્ષક મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલવામાં આવી હતી. કેસની ગંભીરતા અને જાહેર શાંતિ-સુરક્ષાને ધ્યાને લઈ પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટે આરોપી સામે P.A.S.A. વોરંટ જારી કર્યો. ત્યારબાદ LCB ઇન્ચાર્જ પો. ઇન્સ્પેક્ટર આર.કે. કાંબરીયાએ P.A.S.A. વોરંટની બજવણી કરી આરોપીને કાયદેસરની અટકાયત હેઠળ અમદાવાદ જેલ ખાતે ધકેલી આપ્યો. પોલીસ વિભાગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સગીર વયની બાળાઓ વિરુદ્ધ થતા ગુનાઓ બાબતે કોઈ પણ પ્રકારની સહનશીલતા દાખવવામાં નહીં આવે. આવા અસામાજિક તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી ચાલુ રહેશે અને સમાજમાં કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ પ્રતિબદ્ધ છે.
ગુજરાતની સૌથી વ્યસ્ત અને મહત્વપૂર્ણ માર્ગસુવિધા ગણાતી અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે (NE-1)ને 6 લેન સુધી વિસ્તૃત કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. નેશનલ હાઈ-વે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ એક્સપ્રેસવેના વિસ્તરણ માટે ડીટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવા કન્સલ્ટન્સી ફર્મ નીમવા ટેન્ડર બહાર પાડ્યું છે. 12 ફેબ્રુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં NHAI મુખ્યાલય તરફથી બહાર પાડવામાં આવેલા ટેન્ડર અનુસાર DPR 0.000 કિમીથી 93.302 કિમી સુધીના સંપૂર્ણ 93.302 કિમીના માર્ગ માટે તૈયાર કરવામાં આવશે. હાલ આ એક્સપ્રેસવે પર બંને બાજુ બે-બે લેન અને સર્વિસ લેન ઉપલબ્ધ છે. 14 માર્ચ સુધી ટેન્ડર સબમિશનની છેલ્લી તારીખNHAIના જાહેર શેડ્યૂલ મુજબ, ટેન્ડર સંબંધિત પ્રશ્નો 3 માર્ચ, 2026 સુધી પુછાઈ શકશે. 4 માર્ચે પ્રી-બિડ મિટિંગ યોજાશે, જ્યારે ટેન્ડર ડાઉનલોડ અને સબમિટ કરવાની છેલ્લી તારીખ 14 માર્ચ, 2026 સવારે 11 વાગ્યા સુધી રાખવામાં આવી છે. 2004માં શરૂ થયો હતો દેશનો પ્રથમ 4 લેન એક્સપ્રેસ-વેઅમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે વર્ષ 2004માં Atal Bihari Vajpayeeના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલા Golden Quadrilateral પ્રોજેક્ટ હેઠળ ખુલ્લો મુકાયો હતો. આ દેશનો પ્રથમ 4-લેન એક્સપ્રેસવે ગણાય છે. આ માર્ગ અમદાવાદ, નડિયાદ, આણંદ અને વડોદરાને જોડતો મહત્વપૂર્ણ કોરિડોર છે. આ માર્ગ શરૂ થતાં અમદાવાદથી વડોદરા વચ્ચેનો મુસાફરી સમય લગભગ 2.5 કલાકથી ઘટીને અંદાજે 1 કલાક થશે. દરરોજ 51 હજારથી વધુ વાહનોની અવરજવરછેલ્લા બે દાયકામાં ઝડપભર્યું શહેરીકરણ, ઉદ્યોગ વિકાસ અને લોજિસ્ટિક્સ પ્રવૃત્તિઓમાં વધારો થતાં વાહનવ્યવહાર વધી રહ્યો છે. હાલમાં આ એક્સપ્રેસવે પર દરરોજ અંદાજે 51 હજાર જેટલા વાહનો પસાર થાય છે. વડોદરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે સાથે જોડાણ થતા આગામી સમયમાં ટ્રાફિક વધવાની શક્યતા છે. રાજ્ય સરકારે 8-લેન કરવાની માંગ ઉઠાવીવધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે એક્સપ્રેસવેને 8-લેન સુધી વિસ્તૃત કરવાની માંગ કેન્દ્ર સમક્ષ મૂકી હતી. આ મુદ્દો નવી દિલ્હીમાં યોજાયેલી બે દિવસીય ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (TDC) બેઠકમાં પણ ચર્ચાયો હતો, જેને નીતિન ગડકરીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જમીન અધિગ્રહણની જરૂર નહીં પડેઅધિકારીઓના જણાવ્યા મુજબ, NHAI પાસે માર્ગની બંને બાજુ લગભગ 50-50 મીટર જેટલો રાઇટ ઓફ વે પહેલેથી જ ઉપલબ્ધ હોવાથી જમીન અધિગ્રહણની મોટી જરૂરિયાત ઉભી નહીં થાય. વિસ્તરણ બાદ ટ્રાફિક જામમાં રાહત, માર્ગ સલામતીમાં વધારો અને અમદાવાદ–વડોદરા–મુંબઈ વચ્ચેનું વાહનવ્યવહાર વધુ સુગમ બનવાની અપેક્ષા છે.
ગઢડામાં હિન્દુ સંમેલન યોજાયું:શોભાયાત્રા, સંતો-મહંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં હિન્દુ સમિતિ દ્વારા હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલન પૂર્વે શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો જોડાયા હતા. સંમેલનની શરૂઆત સંતો-મહંતો અને રાજકીય આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ઉપરાંત ભારતમાતા પૂજન તેમજ વિશેષ વ્યક્તિઓના સન્માનનો કાર્યક્રમ પણ યોજાયો હતો. હિન્દુ સંમેલનમાં ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામી સહિત સંતો-મહંતોએ સનાતન ધર્મ, ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના જતન તથા રક્ષણ અંગે પ્રેરક ઉદબોધન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુ જેબલિયા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશ ગોધાણી, મધુસુદન ડેરીના ચેરમેન ભોળા રબારી, જયરાજ પટગીર, શહેર ભાજપ પ્રમુખ વિક્રમ બોરીચા, અર્જુન રાજ્યગુરુ, મુકેશ હિહોરીયા, વિપક્ષ નેતા મીત ડાંગર, અમરશી માણીયા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા.
ગોતામાં રહેતા સુજેશભાઇ શાહ 132 ફુટ રિંગ રોડ પર આઇસીઆઇસીઆઇ બેંકમાં બ્રાંચ મેનેજર છે. થોડા દિવસ પહેલા એક ગ્રાહકે આવીને સીઆરએમમાં કેશ ડિપોઝિટ કરી હોવા છતાંય સામેવાળાના ખાતામાં રકમ ન મળી હોવાની ફરિયાદ કરી હતી. જેથી સીસીટીવી તપાસતા ચોર ટોળકીની હરકત કેદ થઇ હતી. મશીન સાથે મોબાઇલ લગાવીને ચેડા કર્યાંમળતી વિગત અનુસાર, 1 ફેબ્રુઆરીએ વહેલી સવારે બે શખ્સોએ આવીને મશીન સાથે ડિવાઇસ લગાવ્યુ હતું. ત્યારબાદ ત્રીજા શખ્સે મશીન પાસે આવીને મશીન સાથે મોબાઇલ લગાવીને કોઇપણ પ્રકારે ચેડા કરતો હતો. તે સમયે કેટલાક ગ્રાહકો નાણાં મશીનમાં જમા કરાવવા આવતા હતાં. ત્યારબાદ જ્યારે એક ગ્રાહકે આવીને નાણાં મશીનમાં જમા કરાવ્યા હતાં. ડિપોઝિટર બોક્સ ખોલીને 52 હજાર ચોરી લીધાજે બાદ વહેલી સવારે આવેલા શખ્સે અન્ય મશીન પાસે ઉભા રહ્યાનો ડોળ કર્યો હતો. જે બાદ આરોપીએ મશીનનો પાવર સપ્લાય બંધ કરી દીધો હતો અને સ્ક્રુ ડ્રાઇવર અને તારથી ડિપોઝિટર બોક્સ ખોલીને અટવાયેલા 52 હજાર ચોરી લીધા હતાં. આ મામલે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પાવર પ્લગ કાઢીને આરોપીઓ નાસી ગયાપ્રાથમિક તપાસમાં ગત તા.1ના રોજ આરોપીઓએ અનેક વાર મશીન બંધ કર્યુ હતું અને ચોરીને અંજામ આપીને પાવર પ્લગ કાઢીને આરોપીઓ નાસી ગયા હતા. પોલીસે સીસીટીવી આધારે તસ્કરો સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા છે. બીજો બનાવગાડીને હટાવવાનું કહેતા તૂટી પડ્યાભાવનગરનો 21 વર્ષીય મહાવીરસિંહ મોરી વસ્ત્રાપુરમાં રહે છે કાર ભાડે આપવાનો વેપાર કરે છે. ગત 13મીએ તે થાર ગાડી લઇને મિત્રો સાથે એક ટી સ્ટોલ ખાતે ગયો હતો. ત્યારે ત્યાં અડચણરૂપ ગાડીને હટાવવાનું કહેતા ગાડીમાંથી કેટલાક શખ્સોએ ઉતરીને લાકડીઓથી હુમલો કરીને ગાડીને ધોકા મારીને ગોબા પાડ્યા હતાં. મામલો સરખેજ પોલીસ સમક્ષ પહોંચતા બંને પક્ષે સમાધાન થયું હતું. ટોળું આવ્યુ ને છરા, ધોકા, પાઇપોથી હુમલો કર્યોત્યારબાદ બીજા દિવસે રાત્રે મહાવીરસિંહ તેમના ભાઇ સાથે ઓફિસ નીચે બેઠા હતાં. ત્યારે બે ગાડી અને બે ટુવ્હીલર પર આશરે પંદરેક શખ્સોનું ટોળું આવ્યું હતું. આ શખ્સોએ છરા, ધોકા, પાઇપોથી હુમલો કર્યો હતો. શખ્સોએ મહાવીરસિંહને છરાના ઘા માર્યા હતા અને લાકડીઓથી હુમલો કર્યો હતો. આ મામલે પોલીસને જાણ કરાતા વસ્ત્રાપુર પોલીસે પરેશ રબારી, લાલો ભરવાડ, મોન્ટુ ભરવાડ અને સુનિલ રબારી સહિતના લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા LCBએ ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનના એક ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી દિપાજી ધારસંગજી ઠાકોરને ઝડપી પાડ્યો છે. આરોપી પાટણ જિલ્લાના રાજપુરનો રહેવાસી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે કડક અમલવારી કરવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે LCB પાલનપુરના પોલીસ ઇન્સ્પેકટર એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. LCB સ્ટાફ ડીસા શહેર વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશન કલમ 65એઇ, 116(2), 98(2), 81 હેઠળના ગુનામાં ફરાર દિપાજી ધારસંગજી ઠાકોર ભોપાનગર ચાર રસ્તા પાસે છે. બાતમીના આધારે LCBની ટીમે દિપાજી ઠાકોરને ભોપાનગર ચાર રસ્તા પાસેથી રાઉન્ડ અપ કર્યો હતો. પકડાયેલા આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત માઁ સરસ્વતી પ્રાથમિક શાળા (સવાર), શાખા નંબર 24, ગદાપુરા ખાતે 'એડોલેશન પ્રોગ્રામ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગવર્નમેન્ટ નર્સિંગ કોલેજ, વડોદરાના સહયોગથી યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને વિવિધ વિષયો પર જાગૃતિ અને સમજ આપવામાં આવી હતી. જેમાં મોબાઈલ અવેરનેસ, ગુડ ટચ-બેડ ટચ, રોડ અકસ્માત જાગૃતિ, મલેરિયા-ડેન્ગ્યુ જાગૃતિ, અજાણ્યા લોકોથી બચવું, દૈનિક ક્રિયાની સારી અને ખરાબ ટેવો તથા માસિક ધર્મ સ્વચ્છતા જેવા મુદ્દાઓનો સમાવેશ થતો હતો. આ વિષયો પર ડ્રામા પ્રસ્તુતિ અને પ્રશ્નોત્તરી દ્વારા વિદ્યાર્થીઓને સરળતાથી સમજાવવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓનો અભિપ્રાય પણ લેવામાં આવ્યો હતો. તાલીમ બાદ તમામ વિદ્યાર્થીઓ માટે રિફ્રેશમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા પરિવારે સરકારી નર્સિંગ કોલેજના ચોથા વર્ષના વિદ્યાર્થીઓના આ સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
અમદાવાદના જુહાપુરા સ્થિત ન્યુ એવન હાઈસ્કૂલમાં વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પૂર્વ ભારતીય ક્રિકેટર શ્રી મુનાફ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે BCA કોચ ઇમરાન ખાન પઠાણ અને નવરંગ સ્કૂલના ઇરફાન સર અરબ પણ હાજર રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો, ડાન્સ, રેમ્પ-વોક અને નાટકો રજૂ કરીને સુંદર પ્રદર્શન કર્યું હતું. વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.શાળાના મેનેજિંગ ટ્રસ્ટી નાઝીમા એમ. તીરમીઝીએ આ માહિતી આપી હતી.
પાટણની મુસ્કાન પ્રજાપતિ રાષ્ટ્રીય લોન ટેનિસમાં રનરઅપ:AITA ચેમ્પિયન્સ ટુર્નામેન્ટ અજમેરમાં યોજાઈ
પાટણની શેઠ એમ. એન. હાઇસ્કૂલની વિદ્યાર્થીની પ્રજાપતિ મુસ્કાન વિપુલભાઈએ તાજેતરમાં અજમેર ખાતે યોજાયેલી રાષ્ટ્રીય લોન ટેનિસ ટુર્નામેન્ટમાં રનરઅપનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ટુર્નામેન્ટ ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશન (AITA) દ્વારા આયોજિત ચેમ્પિયન્સ ટુર્નામેન્ટ હતી. આ રાષ્ટ્રીય કક્ષાની પ્રતિષ્ઠિત સ્પર્ધામાં દેશભરના પ્રતિભાશાળી ખેલાડીઓ ભાગ લે છે. મુસ્કાનની આ સિદ્ધિ માત્ર તેની વ્યક્તિગત સફળતા નથી, પરંતુ શેઠ એમ. એન. હાઇસ્કૂલ, પાટણ જિલ્લો અને સમગ્ર ઉત્તર ગુજરાત માટે ગૌરવની ક્ષણ બની છે. પ્રજાપતિ મુસ્કાન માત્ર રમતગમતમાં જ નહીં, પરંતુ અભ્યાસમાં પણ તેજસ્વી વિદ્યાર્થીની છે. તેણીએ અગાઉ પણ રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ લોન ટેનિસ સ્પર્ધાઓમાં ભાગ લઈને અનેક ચેમ્પિયનશિપ હાંસલ કરી છે. અભ્યાસ અને રમતગમત બંને ક્ષેત્રમાં સંતુલન જાળવીને સતત પ્રગતિ કરવી એ આજના યુવાનો માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે. શાળાના પ્રિન્સિપાલ ડૉ. ધનરાજભાઈ ઠક્કર સાથેની વાતચીતમાં મુસ્કાને જણાવ્યું હતું કે તે દરરોજ ૭ થી ૮ કલાક નિયમિત અને કઠોર પ્રેક્ટિસ કરે છે. ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું તેનું લક્ષ્ય છે. શાળાના પ્રિન્સિપાલ ડૉ. ધનરાજભાઈ ઠક્કર અને સમગ્ર શાળા પરિવારે પ્રજાપતિ મુસ્કાનને તેની આ સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. ડૉ. ઠક્કરે જણાવ્યું હતું કે, “મુસ્કાન જેવી પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓ શાળાનું સાચું ગૌરવ છે. આવી સિદ્ધિઓ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બને છે અને શાળા સંસ્કાર, શિસ્ત તથા પ્રગતિના માર્ગે આગળ વધી રહી છે તેનો જીવંત પુરાવો છે.” AITA જેવી પ્રતિષ્ઠિત સંસ્થાની ટુર્નામેન્ટમાં રનરઅપ બનવું એ ભવિષ્યમાં નેશનલ તેમજ ઇન્ટરનેશનલ સ્તરે સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે મજબૂત પાયા સમાન છે. મુસ્કાનની આ સિદ્ધિ સમાજ માટે સશક્ત સંદેશ આપે છે.
પાટણ જૈન મંડળ સંચાલિત બી ડી સાર્વજનિક વિધાલય, પાટણ ખાતે પુલવામા હુમલામાં શહીદ થયેલ ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત શાળાના પ્રાંગણમાં શહીદોની સ્મૃતિમાં બે મિનિટનું મૌન પાળીને કરવામાં આવી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો દ્વારા શહીદોના બલિદાનને યાદ કર્યું. શાળાના આચાર્ય ડૉ. બી.આર. દેસાઈએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપનાર જવાનો આપણા સાચા હીરો છે અને તેમના બલિદાનને ક્યારેય ભૂલવું ન જોઈએ. શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને દેશપ્રેમ, એકતા અને કર્તવ્યનિષ્ઠા અંગે માર્ગદર્શન આપ્યું. તેમણે શહીદોના આદર્શોને જીવનમાં ઉતારવા માટે પ્રેરણા આપી. વિદ્યાર્થીઓએ હાથમાં દીવા અને ફૂલ લઈને શહીદોની તસ્વીરો સામે નમન કરીને તેમની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી. આ કાર્યક્રમ દ્વારા સમગ્ર શાળા પરિવારે દેશ માટે બલિદાન આપનાર શહીદ જવાનો પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી અને દેશપ્રેમની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ કર્યો.
રાહી ફાઉન્ડેશન દ્વારા બહેરામપુરાના સંતોષનગર ગરીબ આવાસ યોજના ખાતે 800થી વધુ શ્રમજીવી પરિવારોને વેજીટેબલ ખીચડી અને મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું. આ ફાઉન્ડેશનનો 214મો 'ખીચડી વિતરણ પ્રોજેક્ટ' હતો, જેનો લાભ બાળકો અને મહિલાઓએ લીધો હતો. આ કાર્યક્રમ આંગણવાડી કેન્દ્ર, ગરીબ આવાસ યોજના, સંતોષનગર, બહેરામપુરા ખાતે યોજાયો હતો. આ વિતરણ કાર્યક્રમ શ્રમજીવી પરિવારોને પોષણયુક્ત ભોજન પૂરું પાડવાના ઉદ્દેશ્યથી આયોજિત કરાયો હતો. આ કાર્યક્રમના સફળ સંચાલનમાં રાહી ફાઉન્ડેશનના જયેશ પરીખ, નિહારિકા પરીખ, ભદ્રેશ પટેલ, મહેન્દ્ર પટેલ, વસંતભાઇ, જ્યોત્સનાબેન, બાબુલકાકા, વિજય દલાલ અને માર્કન્દભાઈ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સહયોગી રાજેશભાઈ અને બેલાબેન પરીખ પરિવારનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આંગણવાડીની કાર્યકર્તા બહેનોએ પણ કાર્યક્રમની વ્યવસ્થામાં સુંદર સહયોગ આપ્યો હતો.
એસ.વી. કોલેજમાં વાર્તા કથન પર વિશેષ વ્યાખ્યાન:કનુ પટેલે સર્જનાત્મક શિક્ષણ પદ્ધતિના લાભો સમજાવ્યા
એસ.વી. કોલેજ ઓફ એજ્યુકેશન અને સૂરજબા કોલેજ ઓફ એજ્યુકેશન દ્વારા સંયુક્ત રીતે 10 ફેબ્રુઆરી, 2026 ના રોજ 'વર્ગખંડમાં વાર્તા કથન: એક સર્જનાત્મક અભિગમ' વિષય પર એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ગખંડ શિક્ષણને વધુ રસપ્રદ અને અસરકારક બનાવવાનો હતો. આ વ્યાખ્યાનમાં એસ.વી. હાઈસ્કૂલના શિક્ષક કનુ પટેલે વાર્તા કથનના શૈક્ષણિક મહત્વ અને વર્ગખંડમાં તેના લાભો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વાર્તા કથન વિદ્યાર્થીઓમાં કલ્પનાશક્તિ, સાંભળવાની ક્ષમતા, ભાષાકૌશલ્ય અને મૂલ્યશિક્ષણને અસરકારક રીતે વિકસાવવામાં મદદરૂપ થાય છે. કનુ પટેલે ઉદાહરણો સાથે સમજાવ્યું કે વર્ગખંડમાં વાર્તા કથન કેવી રીતે એક સર્જનાત્મક શિક્ષણ પદ્ધતિ તરીકે ઉપયોગી બની શકે છે. તેમણે તાલીમાર્થીઓને વાર્તા કથન માટે વ્યાવહારિક સૂચનો પણ આપ્યા, જેથી તેઓ તેને પોતાના શિક્ષણમાં અપનાવી શકે.તેમના વ્યાખ્યાનથી તાલીમાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે નવી દૃષ્ટિ અને ઉત્સાહ જોવા મળ્યો. આવા સર્જનાત્મક અભિગમ આધારિત કાર્યક્રમો શિક્ષક તાલીમમાં નવી ઊર્જા પૂરી પાડે છે અને ભવિષ્યના શિક્ષકોને અસરકારક શિક્ષણ માટે સજ્જ બનાવે છે.સમગ્ર કાર્યક્રમનું સંકલન પ્રિન્સિપાલ ડૉ. ભાવિક એમ. શાહના માર્ગદર્શન હેઠળ ડૉ. તેજસ ઠક્કરે કર્યું હતું.
દિવાન બલ્લુભાઈ એલ્યુમ્ની એસોસિએશન દ્વારા રવિવારે 'ફ્યુઝન ફિયેસ્ટા 2026' નામનો એક વૈવિધ્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શાળાના 1968 થી 2024 સુધીની બેચના આશરે 50 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમમાં વાંસળી અને તબલાવાદનની જુગલબંદી, ગુજરાતી ફિલ્મ સંગીત અને ગરબાની પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત, મહાન અભિનેતા-દિગ્દર્શક રાજકપૂરને શ્રદ્ધાંજલિ આપતી ડાન્સ પ્રસ્તુતિ, બોલિવૂડના કલાકારોની ઝાંખી દર્શાવતો 'બોલિવૂડ ફેશનિસ્ટા' અને દર્શકો માટે 'ઓપન માઇક' જેવા વિભાગો પણ સામેલ હતા. વિવિધ ડાન્સ અને ફિલ્મી ગીતોની પ્રસ્તુતિઓએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન, મંચ પરની પ્રસ્તુતિઓને અનુરૂપ LED સ્ક્રીન પર વિઝ્યુઅલ્સ દર્શાવવામાં આવ્યા હતા. આનાથી દર્શકોને એક સિનેમેટિક અનુભવ મળ્યો હતો. એસોસિએશન સાથે સંકળાયેલા પૂર્વ વિદ્યાર્થીઓ, જાણીતા ઉદ્ઘોષક રોહન શાહ અને કોરિયોગ્રાફર અમી પરીખે જણાવ્યું હતું કે, તમામ સહભાગીઓએ પોતાના વ્યવસાય અને દૈનિક કાર્યોની સાથે છેલ્લા બે મહિનાથી સઘન પ્રેક્ટિસ કરી હતી. આ સઘન પ્રેક્ટિસના પરિણામે એક વ્યાવસાયિક કાર્યક્રમ જેવું આયોજન શક્ય બન્યું હતું.
કાંકરિયા શાળામાં મહાશિવરાત્રીની ઉજવણી:વિદ્યાર્થીઓ, શિક્ષકોએ શિવલિંગ પૂજા કરી, મંત્રજાપ કર્યા
કાંકરિયા સ્થિત દીવાન-બલ્લુભાઈ પૂર્વ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) ખાતે મહાશિવરાત્રી પર્વની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સેવિકાબહેનોએ ભક્તિભાવપૂર્વક ભાગ લીધો હતો. ઉજવણીના ભાગરૂપે, દરેક વર્ગમાંથી પ્રતિનિધિ વિદ્યાર્થીઓ, શિક્ષકમિત્રો તથા સેવિકાબહેનો દ્વારા શિવલિંગની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ભગવાન શિવની આરતી કરવામાં આવી હતી અને ૧૦૮ વખત “ૐ નમઃ શિવાય” મંત્રનો જાપ કરાયો હતો. શિક્ષિકા રૂચિતાબહેન શાહે બાળકોને મહાશિવરાત્રીના પર્વનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ સરળ ભાષામાં સમજાવ્યું હતું. શિશુવર્ગ અને બાળવર્ગના વિદ્યાર્થીઓએ સુંદર શિવભક્તિ નૃત્ય રજૂ કરીને વાતાવરણને શિવમય બનાવ્યું હતું. આ સમગ્ર આયોજન ઇન્ચાર્જ શિક્ષિકા ભૂમિકાબહેન મહેતા અને રૂચિતાબહેન શાહના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયું હતું. સંગીત શિક્ષક હર્ષદભાઈ પટેલે કાર્યક્રમનું અસરકારક રીતે સંચાલન કર્યું હતું.અંતમાં, કાર્યકારી કો-ઓર્ડીનેટર પીનલબહેન રાવળે આ સુંદર આયોજન બદલ ઇન્ચાર્જ શિક્ષકો તથા તમામ સહભાગીઓને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો.
આરોપી સંદીપ યાદવની જામીન અરજી નામંજૂર:વાપી કોર્ટે સરીગામ હત્યા કેસમાં આરોપીની જામીન અરજી ફગાવી
વલસાડ જિલ્લાની વાપી અદાલતે સરીગામ હત્યા કેસમાં પુરાવા નાશ કરવાના આરોપી સંદીપ ઉર્ફે રાકા શ્રીરામ યાદવની નિયમિત જામીન અરજી નામંજૂર કરી છે. એડિશનલ સેશન્સ જજ એચ. એન. વકીલે ગુનાની ગંભીરતા અને અન્ય સંજોગોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય આપ્યો હતો. આરોપી સંદીપ ઉર્ફે રાકા શ્રીરામ યાદવ (રહે. દેવરીયા, ઉત્તર પ્રદેશ) સામે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 302 (હત્યા), 201 (પુરાવાનો નાશ) અને 114 હેઠળ ભીલાડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આ કેસ વર્ષ 2015નો છે, જ્યારે સરોજ રામદરશ ચૌધરી સરીગામ ખાતેથી ગુમ થયા હતા. ગુમ થયાના થોડા સમય બાદ સરીગામ GEB ઓફિસ નજીક ઝાડીઓમાંથી તેમનો માનવ કંકાલ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, પૈસાની અદાવતમાં આરોપીઓએ તેમની હત્યા કરી હતી અને ગુનાને છુપાવવા માટે મૃતદેહ ફેંકી દીધો હતો. જામીન અરજીની સુનાવણી દરમિયાન સરકારી વકીલ અનિલ ત્રિપાઠીએ દલીલ કરી હતી કે આરોપી લાંબા સમય સુધી ફરાર હતો અને ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાથી ફરીથી ભાગી જવાની શક્યતા છે. તેમણે એમ પણ જણાવ્યું કે આરોપીને જામીન મળે તો તે કેસના સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે અથવા ધમકાવી શકે છે. અદાલતે નોંધ્યું કે આ ગુનો અત્યંત ગંભીર પ્રકૃતિનો છે. અગાઉ પણ સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આરોપીની જામીન અરજીઓ નામંજૂર કરવામાં આવી હતી. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને અદાલતે સંદીપ યાદવની નિયમિત જામીન અરજી ફગાવી દીધી.
રાહે સ્કૂલમાં મહાશિવરાત્રિની પૂજા:વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ કરી ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી
અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી રાહે પબ્લિક સ્કૂલમાં મહાશિવરાત્રિ પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણે શિવપૂજાનું આયોજન કર્યું હતું. સૌએ સાથે મળીને ભગવાન શિવની પૂજા-અર્ચના કરી હતી. આ ધાર્મિક કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ અને તહેવારોના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં 13ફેબ્રુઆરીના રોજ દ્વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના બાળકોને મધ્યાહન ભોજનમાં મોહનથાળ પીરસવામાં આવ્યો હતો અને અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ પણ યોજાયો હતો. શાળાના સેવિકા ભીલ રમીલાબેનના સુપુત્રના લગ્નની ખુશીમાં શાળાના તમામ બાળકોને મધ્યાહન ભોજનની સાથે સ્વાદિષ્ટ અને ચોખ્ખા ઘીનો મોહનથાળ પીરસવામાં આવ્યો હતો. આ ઉપરાંત, સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા અને તેમને વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને અંધશ્રદ્ધાનો શિકાર બનતા અટકાવવાનો હતો. આ કાર્યક્રમ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગર પ્રેરિત અખિલ આંજણા કેળવણી મંડળ – પાટણ સંચાલિત પુનભા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, પાટણ દ્વારા યોજાયો હતો. શ્રી દર્શનભાઈ ચૌધરીએ આ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિવિધ પ્રયોગો દ્વારા અંધશ્રદ્ધા પાછળના વિજ્ઞાનને સમજાવવામાં આવ્યું હતું. જેમાં કોરા કાગળ પર અક્ષરો છાપવા, પાણીને રંગીન કરવું અને તેનો રંગ દૂર કરવો, લાલ દોરાને કાળો કરવો, લીંબુમાંથી લોહી કાઢવું, સૂકા ઘાસમાં આગ લગાડવી, રૂમાલમાં આગ લગાડવી અને નાળિયેરમાંથી ચુંદડી કે લોહી કાઢવા જેવા પ્રયોગોનો સમાવેશ થાય છે. આ પ્રયોગો દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ આસપાસના લોકોને અંધશ્રદ્ધા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા અને તેમને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ભાવનગર જિલ્લાના ગારીયાધાર શહેરમાં રહેતા એક યુવાનને તેના મિત્રની તરફદારી કરવાનું મોંઘું પડ્યું છે મિત્રની તરફદારીથી નારાજ ત્રણ શખ્સોએ યુવાન પર પાઇપ, લાકડી વડે હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઈજાગ્રસ્ત યુવાને ત્રણેય હુમલાખોરો વિરુદ્ધ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, આ બનાવ અંગે ગારીયાધાર પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ગારીયાધાર શહેરમાં જીવાણી શેરીમાં રહેતો અને હેર સલૂન માં કામ કરતો મિલન ચંદુલાલ વાજા ઉ.વ.40 ગઈકાલે બપોરના સમયે પચ્છેગામ રોડ પર આવેલ સેનરાજ હેર આર્ટ સલૂન બહાર ઉભો હોય એ દરમિયાન ગારીયાધાર શહેરમાં રહેતા મનીષ શાંતિલાલ ચૌહાણ, તેનો ભાઈ રાજદીપ શાંતિલાલ ચૌહાણ, અને અમરેલીનો પૃથ્વી વાઘેલા તેની પાસે લાકડી અને પાઇપ સાથે આવ્યા હતા અને મનીષે મિલનને કહેલ કે તું સંજય બગથરીયાની તરફદારી બોવ કરે છે તેમ કહી ગાળો આપતા મિલને ગાળો દેવાની ના પાડતા ઉશ્કેરાયેલ ત્રણેય શખ્સોએ મિલન પર પાઇપ લાકડી વડે હુમલો કરી લોહિયાળી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા, જ્યારે ઇજાગ્રસ્ત મિલનને સારવાર અર્થે ગારીયાધાર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, સારવાર બાદ તેણે ત્રણેય હુમલાખોરો વિરુદ્ધ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદ શહેરના સરખેજમાં પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ એસિડ પીને આપઘાત કર્યો છે. લગ્નના બે મહિના બાદ જ પતિ પત્નીને નાની-નાની બાબતોમાં ત્રાસ આપવા લાગ્યો હતો. ઘરખર્ચ અને દવાના રૂપિયા પણ આપતો ન હતો. પત્નીને ઘરમાંથી કાઢી મૂકવા ધમકી આપતો હતો. આ અંગે મૃતકની માતાએ જમાઈ સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. નાની-નાની બાબતોમાં ઝઘડો કરીને ત્રાસ આપતોવસ્ત્રાલમાં રહેતા પુનમબેન શાક્ય શાકભાજીનો ધંધો કરે છે. પૂનમબેનની 23 વર્ષીય પુત્રી સાક્ષીએ ત્રણ વર્ષ પહેલા સરખેજના કીશન ભરવાડ સાથે કોર્ટ મેરેજ કર્યા હતાં. લગ્નના બે મહિના સુધી પતિએ પત્નીને બરોબર રાખી હતી. બાદમાં તે નાની-નાની બાબતોમાં પત્ની સાથે ઝઘડો કરીને ત્રાસ આપવા લાગ્યો હતો. સાળીના લગ્નમાં પણ તે પત્નીને મૂકીને જતો રહ્યો હતો. ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપતોપતિએ પત્નીને તારા સાથે લગ્ન કરીને મારી સમાજમાં બદનામી થઇ છે હું તને ઘરે રાખવા માંગુ છુ તો હું અને મારા માતા-પિતા કહે તેમ કરવું પડશે નહિ, તો ઘરમાંથી કાઢી મૂકીશ તેવી ધમકી આપતો હતો. આટલું જ નહીં ઘરખર્ચના અને પુત્રોની દવાના રૂપિયા પણ પત્નીને આપતો ન હતો. પત્નીએ પતિના ત્રાસથી કંટાળીને એસિડ પીને આપઘાત કરી લીધોજેથી પરિણીતા પિયર જતી ત્યારે સમગ્ર હકીકત તેના માતા-પિતાને જણાવતી હતી. ત્યારે બે દિવસ પહેલા પુનમબેન ભત્રીજીની અસ્થિ વિર્સજન કરીને પુત્રી સાક્ષીને તેના ઘર પાસે ઉતારીને જતા રહ્યા હતા. ત્યારે બીજા દિવસે જ પત્નીએ પતિના ત્રાસથી કંટાળીને એસિડ પીને આપઘાત કરી લીધો હતો. આ અંગે મૃતકની માતાએ જમાઇ કીશન સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોધાવી છે.
વી.આર. કર્વે પ્રોગ્રેસિવ પ્રાથમિક શાળાની ધોરણ 7ની વિદ્યાર્થીની હીર ગણપતભાઈ પટેલે રાજપીપળા ખાતે યોજાયેલી સ્ટેટ લેવલ જિમ્નાસ્ટિક સ્પર્ધામાં બે સિલ્વર મેડલ જીત્યા છે. આ સિદ્ધિ દ્વારા હીરે શાળા, સમાજ અને દેશનું ગૌરવ વધાર્યું છે.શાળા પરિવારે હીર અને તેમના કોચને તેમની આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.
ધોરણ 10નો શુભેચ્છા સમારંભ યોજાયો:ઉત્તર બુનિયાદી વિદ્યાલય સેવાળામાં વિદ્યાર્થીઓને શુભેચ્છા અપાઈ
ઉત્તર બુનિયાદી વિદ્યાલય સેવાળા ખાતે તારીખ 13 ફેબ્રુઆરી, 2026 ના રોજ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વૈદિક વિચાર પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી ત્રિભુવનભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ગાંધી આશ્રમ ઝીલીયાના નિયામક ભલાભાઈ સાહેબ સહિત અન્ય આમંત્રિત મહેમાનો પણ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા માટે હાજર રહ્યા હતા. મહેમાનોએ ધોરણ 10 ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા અને શાળાનું પરિણામ ઉંચુ લાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. વિશેષરૂપે, ચેલાભાઈ દેસાઈ પરિવાર દ્વારા ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ભોજનદાતા તરીકે ભલાભાઈ સાહેબે સેવા આપી હતી. શાળાના આચાર્ય અલ્પેશભાઈ પટેલે પણ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષક અલ્કેશભાઈ દેસાઈ અને શાળા પરિવારે કર્યું હતું.
વીર નર્મદ યુનિવર્સિટીમાં ONOS અને INFLIBNET સેમિનાર:કુલપતિ ડૉ. ચાવડાએ ONOS યોજનાનું મહત્વ સમજાવ્યું
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે ONE NATION ONE SUBSCRIPTION (ONOS) તથા INFLIBNET SERVICE વિષય પર એક ઓફલાઈન સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારનું આયોજન મધ્યસ્થ ગ્રંથાલયના ઇ.ચા. ગ્રંથપાલ ડૉ. પારુલબેન આર. પટેલ અને જ્ઞાન સંસાધન કેન્દ્રના નિયામક ડૉ. પરેશ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વક્તા તરીકે INFLIBNET Centre, ગાંધીનગરના વૈજ્ઞાનિક (લાઇબ્રેરી સાયન્સ) શ્રી પલ્લબ પ્રધાન અને STO-I (લાઇબ્રેરી સાયન્સ) ડૉ. રોમા અસનાની હાજર રહ્યા હતા. કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાએ કેન્દ્ર સરકારની One Nation One Subscription (ONOS) યોજનાની ઉપયોગીતા અને મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ, ડૉ. રોમા અસનાનીએ ONOS યોજનાના લાભો, કાર્યપદ્ધતિ અને તેના ઉપયોગ વિશે વિગતવાર માહિતી આપી હતી. પલ્લબ પ્રધાને INFLIBNET Centre દ્વારા ઉપલબ્ધ વિવિધ સેવાઓ અંગે વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના વિવિધ વિભાગોના વડાઓ, અધ્યાપકો, સંલગ્ન કોલેજોના આચાર્યો, ગ્રંથપાલો, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતે, આભારવિધિ સાથે સેમિનારનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું હતું.

27 C