ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદથી સંજયભાઈ ગઢવી દ્વારા સ્ટેટ ઇલેક્શન કમિશન સહિત અન્ય ઓથોરિટીને પક્ષકાર બનાવીને અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં અરજદારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણીમાં ભાગ લેવા માટે ખોખરાના વોર્ડ નંબર 44ની મતદાર યાદીમાં પોતાનું નામ ઉમેરવા વિનંતી કરી હતી. અરજદાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે, તેનું નામ અગાઉ મણિનગર વિધાનસભા મતવિસ્તારની યાદીમાં હતું, પરંતુ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન - SIR દરમિયાન તે નીકળી ગયું હતું. ત્યારબાદ તેમણે 12 માર્ચ, 2026ના રોજ નામ ઉમેરવા ઓથોરાઇઝ અધિકારીને અરજી કરી હતી, જે સફળતાપૂર્વક સ્વીકારવામાં આવી હતી. જેનો SMS પણ તેમને મોબાઈલ ઉપર મળ્યો હતો. તેમની પાસેના EPIC કાર્ડ મુજબ તેઓ મણિનગર વિધાનસભા વિસ્તારના મતદાતા છે. આ જ વિધાનસભા વિસ્તાર અંતર્ગત ખોખરા વોર્ડ આવે છે. નામાંકન પત્ર ભરવાની છેલ્લી તારીખના 10 દિવસ પહેલા નામ ઉમેરી શકાય નહીંસ્ટેટ ઇલેક્શન કમિશને દલીલ કરી હતી કે, 17 ફેબ્રુઆરી 2026ની સુધારેલી યાદીમાં અરજદારનું નામ ન હોવાથી 23 માર્ચ, 2026 ની પ્રાથમિક યાદીમાં તેમનો સમાવેશ થઈ શક્યો નથી. 6 એપ્રિલના રોજ અરજદારની અરજી ઓથોરિટીએ નકારી નાખી હતી. નિયમો મુજબ નામાંકન પત્ર ભરવાની છેલ્લી તારીખના 10 દિવસ પહેલા નામ ઉમેરી શકાય નહીં. જોકે, કોર્ટે નોંધ્યું કે હતું કે પ્રાથમિક યાદી બહાર પડ્યા પહેલા જ અરજદારનું નામ મણિનગર વિધાનસભા મતવિસ્તારમાં સામેલ કરવામાં આવ્યું હતું. જો નામ વિધાનસભાની યાદીમાં હોય તો મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટેની યાદીમાં પણ તેમનો અધિકાર બને છે. આથી અરજદારનું નામ ખોખરાના વોર્ડ નંબર-44ની મતદાર યાદીમાં સામેલ કરવામાં આવે. આ સાથે અરજદારને આગામી ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવાની છૂટ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મળતી માહિતી મુજબ સંજય ગઢવી કોંગ્રેસ પક્ષના અમદાવાદ મહાનગરપાલિકા અંતર્ગતની ચૂંટણીના ખોખરા વોર્ડના ઉમેદવાર પૈકીના એક છે.
વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આમ આદમી પાર્ટી (AAP) એ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારી દીધા છે, જ્યારે ભાજપ અને કોંગ્રેસમાં હજુ ઉમેદવારોની પસંદગીને લઈ મથામણ ચાલી રહી છે. AAPના જિલ્લા પ્રમુખ જીતુભાઈ દેસાઈના જણાવ્યા અનુસાર, પાર્ટીએ અત્યાર સુધીમાં 20થી વધુ ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં 3 જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયતની બેઠકો માટે ફોર્મ ભરાઈ ચૂક્યા છે. આગામી બે દિવસમાં અન્ય બેઠકો પર પણ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. જીતુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ધરમપુર અને કપરાડા જેવા ડુંગરાળ વિસ્તારોમાં પાણીની ગંભીર સમસ્યા મુખ્ય મુદ્દો બનશે. તેમણે 'અસ્ટોલ યોજના' સદંતર નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ કરતા કહ્યું કે, લોકોને પીવાના પાણી માટે 2 થી 3 કિલોમીટર સુધી રઝળપાટ કરવો પડે છે. આ ઉપરાંત ચોમાસામાં ખરાબ રસ્તાઓની સમસ્યા પણ વિકટ છે. AAP આ જ પાયાના મુદ્દાઓ લઈને જનતાની વચ્ચે જશે. વલસાડ જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકો અને 6 તાલુકા પંચાયતોની 150 બેઠકો માટે ચૂંટણી યોજાશે. અત્યાર સુધીમાં જિલ્લા પંચાયતની 12 અને તાલુકા પંચાયતની 33 બેઠકો પર ઉમેદવારી નોંધાઈ ચૂકી છે. કોંગ્રેસે સંભવિત ઉમેદવારો પાસે ફોર્મ ભરાવવાનું શરૂ કર્યું છે. જ્યારે ભાજપની યાદી શુક્રવારે જાહેર થવાની શક્યતા છે. પાર્લામેન્ટરી બોર્ડની આખરી મહોર બાદ જાહેર થનારા ભાજપના નામો પર હાલ સૌની નજર ટકેલી છે. AAP એ દાવો કર્યો છે કે તેઓ આ વખતે 30 થી 40 ટકા બેઠકો પર વિજય મેળવી મજબૂત પકડ બનાવશે. હવે જોવાનું એ રહેશે કે ભાજપના ઉમેદવારોના નામ જાહેર થયા બાદ આ ચૂંટણી જંગ કેવો વળાંક લે છે.
પત્નીને ભરણપોષણ ન આપવા બદલ પતિને 660 દિવસની જેલની સજા અમદાવાદ ફેમિલી કોર્ટ દ્વારા આપવામાં આવી હતી. જેને હાઈકોર્ટે પણ યથાવત રાખી છે. એક પતિને તેની પત્ની અને બે બાળકોને ભરણપોષણ પેટે 3.97 લાખ રૂપિયા ચૂકવવામાં નિષ્ફળ રહેવા બદલ 660 દિવસની જેલની સજા ફટકારવાના ફેમિલી કોર્ટના આદેશને હાઇકોર્ટે માન્ય રાખ્યો છે. આ મામલે પતિ દ્વારા ફેમિલી કોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો. જે અરજી હાઇકોર્ટે રદ્દ કરી છે, હાઇકોર્ટે અવલોકન કર્યું છે કે ફેમિલી કોર્ટે આદેશ પસાર કરતી વખતે યોગ્ય કારણો આપ્યા છે અને તેથી સમવર્તી તારણોમાં દખલગીરી માટે કોઈ કેસ બનતો નથી. પતિને લાદવામાં આવેલી જેલની સજા અપ્રમાણસર નહોતીહાઇકોર્ટે વધુમાં અવલોકન કર્યું કે, પતિને લાદવામાં આવેલી જેલની સજા અપ્રમાણસર નહોતી. કારણ કે પુરુષે ભરણપોષણનો બાકીનો ખર્ચ ચૂકવવામાં નિષ્ફળ રહેવા બદલ દરેક મહિના માટે દસ દિવસનો સમય હતો. કોર્ટે નોંધ્યું હતું કે ડિફોલ્ટ 66 મહિનાનો હોવાથી, સેટ-ઓફનો લાભ આપ્યા પછી કુલ 660 દિવસની સજા ફટકારવામાં આવી હતી. ઉપરોક્ત હકીકતોને ધ્યાનમાં લેતા ડિફોલ્ટના દરેક મહિના માટે દસ દિવસની સજા અપ્રમાણસર કહી શકાય નહીં. અરજદારે પોતે શરણાગતિ સ્વીકારી હતી અને પોતાની જવાબદારી અને ચૂકવણી કરવામાં અસમર્થતા સ્વીકારી હતી. તેથી ફેમિલી કોર્ટ દ્વારા કોઈ અનિયમિતતા કરવામાં આવી નથી અને રિવિઝનલ અધિકારક્ષેત્રમાં દખલગીરી માટે કોઈ કેસ બનાવવામાં આવતો નથી. પત્નીએ ભરણપોષણ મેળવવા કોર્ટનો સંપર્ક કર્યો હતોમાર્ચ 2002 માં પતિ-પત્નીના લગ્ન થયા હતા. જેનાથી દંપતીને બે બાળકો હતા. પતિના મતે તેમનો સંબંધ ધીમે ધીમે બગડતા ગયા હતા અને પત્ની ઓગસ્ટ 2007 માં ઘર છોડી ગઈ હતી. અલગ થયા પછી પત્નીએ Crpc ની કલમ 125 હેઠળ ભરણપોષણ મેળવવા માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો. મે 2013 માં, ફેમિલી કોર્ટે તેની અરજીને આંશિક રીતે મંજૂર કરી અને પતિને પત્નીને દર મહિને 2,500 રૂપિયા એક બાળકને 2,000 અને બીજા બાળકને 1,500 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. સાથે જ કેસનો ખર્ચ પણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. ભરણપોષણની બાકી રકમ લગભગ ₹3.97 લાખત્યારબાદ પત્ની અને બાળકોએ કલમ 125(3) CrPC હેઠળ વસૂલાતની કાર્યવાહી શરૂ કરી હતી. તે તબક્કે ભરણપોષણની બાકી રકમ લગભગ ₹3.97 લાખ થઈ ગઈ હતી. આ રકમની વસૂલાતની કાર્યવાહી દરમિયાન પતિ સ્વેચ્છાએ ફેમિલી કોર્ટ સમક્ષ હાજર થયો બકો અને સ્વીકાર્યું હતું કે રકમ બાકી છે. તેણે એમ પણ કહ્યું કે તેની પાસે કોઈ મિલકત નથી અને તે જરૂરી રકમ ચૂકવવામાં અસમર્થ છે. તેણે કોર્ટને ઓછી સજા ફટકારવા માટે વિનંતી કરી. ફેમિલી કોર્ટે તેનું નિવેદન નોંધ્યું અને ખાતરી કરી કે તે ભરણપોષણ ચૂકવવામાં નિષ્ફળ રહેવાના કાનૂની પરિણામોને સમજે છે. ત્યારબાદ કોર્ટે દરેક મહિનાના ડિફોલ્ટ માટે દસ દિવસની સાદી કેદની સજા ફટકારી હતી. ડિફોલ્ટ 66 મહિનાથી વધુ લંબાયો હોવાથી કુલ સજા 660 દિવસ થઈ હતી.
સુરત શહેરના રાજમાર્ગો પર વાહન ચાલકો માટે સુરક્ષાનો પ્રશ્ન ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આજે શહેરના અતિ વ્યસ્ત એવા અઠવા બ્રિજ પર એક ચાલુ કારમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. જોકે, સદનસીબે કારમાં સવાર લોકો સમયસૂચકતા વાપરી ઉતરી જતાં મોટી જાનહાનિ ટળી છે. બ્રિજ પર કાળો ડિબાંગ ધુમાડો છવાઈ ગયોમળતી માહિતી મુજબ, અઠવા બ્રિજ પરથી પસાર થઈ રહેલી એક પેસેન્જર કારમાં અચાનક એન્જિનના ભાગેથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. ડ્રાઈવર કંઈ સમજે તે પહેલાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બ્રિજ પર કાળો ડિબાંગ ધુમાડો છવાઈ ગયો હતો. પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યોઆગ લાગતાની સાથે જ કારમાં સવાર તમામ લોકો તુરંત બહાર નીકળી ગયા હતા, જેના કારણે કોઈ ઈજા કે જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતા જ સુરત ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો, ટ્રાફિકજામ અને ભયનો માહોલબ્રિજની વચ્ચે સળગતી કારને કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઓફિસ અને કામકાજના સમયે જ આ ઘટના બનતા ટ્રાફિકજામ સર્જાયો હતો. બ્રિજ પરથી પસાર થતા અન્ય વાહનચાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી.
પાટણ જિલ્લાના સાંતલપુર નેશનલ હાઇવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. ગરામડી ગામ નજીક ટેન્કર અને અલ્ટો કાર વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અલ્ટો કારનો કુરચો બોલી ગયોમળતી માહિતી મુજબ, સાંતલપુર નેશનલ હાઇવે પર ગરામડી ગામના પાટિયા પાસે પૂરઝડપે આવી રહેલા એક ટેન્કર અને અલ્ટો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો પ્રચંડ હતો કે અલ્ટો કારનો કુરચો બોલી ગયો હતો. કારમાં સવાર મુસાફરો લોહીલુહાણ હાલતમાં અંદર ફસાઈ ગયા હતા. એક જ પરિવારના 3 લોકોના મોત, 4 ઈજાગ્રસ્તઅકસ્માતનો ભોગ બનનાર તમામ લોકો વારાહી ગામના મુસ્લિમ ઘાંચી સમાજના હોવાનું જાણવા મળ્યું છે. તેઓ હાજીપીર દર્શન કરી પરત ફરી રહ્યાં હતા. કારમાં કુલ 7 વ્યક્તિઓ સવાર હતા, જેમાંથી 3 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે. 4 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરીઘટનાની જાણ થતા જ સાંતલપુર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી અને મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ (PM) અર્થે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યા છે. અકસ્માતને પગલે હાઇવે પર થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. હાલમાં સાંતલપુર પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ શહેરના બી-ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના નવાગામ વિસ્તારમાં પોલીસ ચોકીની બિલકુલ સામે ચાલતા દેહવ્યાપારના અડ્ડા પર પોલીસે દરોડો પાડી સુપરવાઇઝર અને એક ગ્રાહકની ધરપકડ કરી છે. કંટ્રોલ રૂમની બાતમીના આધારે ડમી ગ્રાહક મોકલીને કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસે પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રની યુવતીઓને મુક્ત કરાવી હતી. આ ગેરકાયદે પ્રવૃત્તિના મુખ્ય સંચાલકો હિતેશ ઉર્ફે રાણો અને અમિત ઉર્ફે દાઢી હાલ ફરાર હોવાથી પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે. પોલીસે ખરાઈ કરવા ડમી ગ્રાહક મોકલ્યોદરોડાની વિગત મુજબ, નવાગામ પોલીસ ચોકી સામે આવેલી દ્વારકાધીશ હોટલવાળી શેરીમાં એક કાળા ડેલાવાળા મકાનના પ્રથમ માળે હિતેશ અને અમિત દ્વારા કૂટણખાનું ચલાવવામાં આવતું હતું. પોલીસે બાતમીની ખરાઈ કરવા ડમી ગ્રાહક મોકલ્યો હતો, જેનો સંકેત મળતા જ સ્ટાફે દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી સંચાલક તરીકે કામ કરતો અક્ષય મથુર જમોડ (ઉ.વ. 20) અને શરીર સુખ માણવા આવેલો ગ્રાહક ઋત્વિક વાછાણી ઝડપાયા હતા. તપાસમાં સામે આવ્યું હતું કે આ મકાન હિતેશ ઉર્ફે રાણાની માલિકીનું છે. દેહવ્યાપાર માટે બંગાળથી યુવતી બોલાવીપોલીસ તપાસ દરમિયાન રૂમમાંથી કઢંગી હાલતમાં યુવતીઓ અને ગ્રાહકો મળી આવ્યા હતા. પશ્ચિમ બંગાળથી આવેલી એક યુવતીએ કબૂલાત આપી હતી કે સંચાલકોએ તેને દેહવ્યાપાર માટે બોલાવી હતી અને તે તે જ દિવસે સવારે સુરતથી રાજકોટ આવી હતી. આરોપીઓ ગ્રાહક પાસેથી રૂ. 1,000 વસૂલતા હતા, જેમાંથી રૂ. 500 યુવતીને આપી બાકીના રૂ. 500 કમિશન પેટે પોતે રાખી આર્થિક કમાણી કરતા હતા. ગ્રાહક અને મેનેજરની ધરપકડહાલમાં પોલીસે અક્ષય જમોડ અને ઋત્વિક વાછાણી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જેલહવાલે કર્યા છે. માત્ર બે દિવસ પૂર્વે જ શરૂ થયેલા આ કુટણખાનાના મુખ્ય સૂત્રધારો હિતેશ ઉર્ફે રાણો અને અમિત ઉર્ફે દાઢીને પકડવા માટે પોલીસે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયાના પ્રારંભિક બે દિવસમાં કુલ પાંચ ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. બુધવારે બે અને ગુરુવારે ત્રણ ફોર્મ ભરાયા છે, જેમાં આમ આદમી પાર્ટીના એક અને ચાર અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. મુખ્ય રાજકીય પક્ષો પૈકી માત્ર 'આપ' એ ખાતું ખોલાવ્યું છે, જ્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો હજુ પ્રતીક્ષામાં છે. વોર્ડ વાઈઝ ઉમેદવારોએ ફોર્મ ભર્યા ભાજપ-કોંગ્રેસની રણનીતિચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ હોવા છતાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર ફોર્મ ભરવામાં આવ્યું નથી. કોંગ્રેસમાં આંતરિક રીતે નામો નક્કી હોવાનું મનાય છે, પરંતુ હજુ સુધી મૌન જળવાયેલું છે. બીજી તરફ, ભારતીય જનતા પાર્ટી શુક્રવારે તેના ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરે તેવી શક્યતા છે, જે બાદ ફોર્મ ભરવાની પ્રક્રિયામાં ગતિ આવશે.
રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે રહેતી 35 વર્ષીય પરિણીતાએ પતિના અન્ય મહિલા સાથેના પ્રેમ સંબંધો અને સાસરિયાંઓના શારીરિક-માનસિક ત્રાસથી કંટાળી યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. અન્ય સ્ત્રી સાથે વાત કરવાની મનાઈ કરતા ઉશ્કેરાયેલા પતિએ રકાબીનો છૂટો ઘા મારી પરિણીતાને ઈજા પહોંચાડતા તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગત 7 એપ્રિલ 2026ના રોજ બનેલી આ ઘટના બાદ પોલીસે પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લગ્નના છ મહિના બાદ પતિનો અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધવર્ષ 2021માં ગૌરવ વિજયભાઈ દાસાણી સાથે લગ્ન ગ્રંથિથી જોડાયેલા પૂજાબેનને લગ્નના છ મહિના બાદ જ પતિના અન્ય મહિલા સાથેના વોટ્સએપ અને ફોન દ્વારા સંપર્ક હોવાની જાણ થઈ હતી. આ બાબતે વિરોધ કરતા પતિએ અવારનવાર શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જ્યારે આ અંગે પોરબંદર સ્થિત સાસુ હીનાબેન અને સસરા વિજયભાઈને જાણ કરવામાં આવી, ત્યારે તેમણે પુત્રનો પક્ષ લઈને પૂજાબેનને જ ચૂપ રહેવા દબાણ કર્યું હતું. પતિએ ઉશ્કેરાઈને ગાળો આપી હિંસક હુમલો કર્યોપૂજાબેન ગર્ભવતી હતા ત્યારે અને પુત્રના જન્મ બાદ પણ સાસરી પક્ષ દ્વારા માનસિક સતામણી ચાલુ રહી હતી. સાસુ હીનાબેન ઘરકામ બાબતે મેણા-ટોણા મારીને આ ફ્લેટ અમારા નામનો છે, તું અહીંથી નીકળી જા કહીને માનસિક દબાણ લાવતા હતા. વિવાદ ત્યારે વકર્યો જ્યારે પૂજાબેને પુત્રના ભવિષ્ય માટે સાસુ-સસરાને સાથે રહેવા આવવા બાબતે પતિ સાથે ચર્ચા કરી, જેનાથી ઉશ્કેરાઈને ગૌરવભાઈએ ગાળો આપી હિંસક હુમલો કર્યો હતો. પોલીસે પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ ગુનો નોંધ્યોહુમલામાં ડાબા ગાલ અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ થતા હાલ પૂજાબેને પિતાના ઘરે આશરો લીધો છે. યુનિવર્સિટી પોલીસે આ મામલે આરોપી પતિ ગૌરવ, સાસુ હીનાબેન અને સસરા વિજયભાઈ વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
ગુજરાત રાજ્યમાં ખોરાક અને ઔષધ નિયામન તંત્ર દ્વારા 4 એપ્રિલથી 9 એપ્રિલ દરમિયાન પનીર અને તેના એનાલોગ ઉત્પાદનોના વપરાશ અંગે રાજ્યવ્યાપી તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ અંતર્ગત કુલ 2,527 હોટલ-રેસ્ટોરન્ટ અને ખાદ્ય એકમોની તપાસ કરી, નિયમોના ભંગ બદલ 18 એકમોને સીલ કરવામાં આવ્યા હતા અને ₹2.48 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હતો. ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં શંકાસ્પદ જથ્થાનો નાશ કરી કાયદેસરની નોટિસો ફટકારવામાં આવી હતી. 210 એકમોને વહીવટી નોટિસો પાઠવીઆ વિશેષ તપાસ અભિયાન દરમિયાન તંત્ર દ્વારા કુલ 210 એકમોને વહીવટી નોટિસો પાઠવવામાં આવી હતી. તપાસની કામગીરીમાં ફૂડ સેફ્ટી વાનનો પણ ઉપયોગ કરાયો હતો, જેના દ્વારા 658 એકમોની ચકાસણી કરી 678 નમૂનાઓનું સ્થળ પર પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, લેબોરેટરી પૃથ્થકરણ માટે અલગથી 65 નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા અને અંદાજે 103 કિલો જેટલો શંકાસ્પદ ખાદ્ય જથ્થો બિનઆરોગ્યપ્રદ હોવાના કારણે સ્થળ પર જ નાશ કરાયો હતો. ગ્રાહકોને જાણ કર્યા વગર જ 'એનાલોગ પનીર'નો ઉપયોગતપાસમાં ખાસ કરીને એ બાબત સામે આવી હતી કે અનેક ખાદ્ય એકમોમાં ગ્રાહકોને જાણ કર્યા વગર જ 'એનાલોગ પનીર'નો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. આ પ્રકારની પ્રેક્ટિસ ગ્રાહકોને ભ્રમિત કરતી હોવાનું જણાયું હતું, જેના કારણે તંત્રએ આ બાબતે લાલ આંખ કરી છે. શુદ્ધ પનીરને બદલે સસ્તા વિકલ્પો વાપરતા એકમો વિરુદ્ધ કડક વલણ અપનાવીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. વેપારીઓને કડક શબ્દોમાં નિયમોનું પાલન કરવાની ચેતવણીતંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા એકમો સામે આગામી સમયમાં પણ આવા અભિયાન સતત ચાલુ રહેશે. વેપારીઓને કડક શબ્દોમાં નિયમોનું પાલન કરવાની ચેતવણી આપવામાં આવી છે, સાથે જ જનતાને પણ ખાદ્ય પદાર્થોની ખરીદી કે વપરાશ સમયે વધુ જાગૃત અને સચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
સ્માર્ટ સિટી અને કાર્યક્ષમ વહીવટના દાવાઓ કરતી સુરત મહાનગરપાલિકા હાલમાં ગંભીર વહીવટી છબરડાને કારણે ચર્ચાનું કેન્દ્ર બની. 2,200 જેટલા પદો માટે ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં તંત્રએ એક એવી ભૂલ કરી છે જેણે પાલિકાના ડિજિટલ ડેટા મેનેજમેન્ટ સામે મોટા સવાલો ઊભા કર્યા છે. અઢી વર્ષ પહેલાં સન્માનપૂર્વક નિવૃત્ત થઈ ચૂકેલા એક મહિલા કર્મચારીને જ્યારે મેનેજરની પોસ્ટ માટેની પરીક્ષાનો કોલ લેટર મળ્યો, ત્યારે માત્ર તે મહિલા જ નહીં પરંતુ સમગ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન અચંબામાં પડી ગયું હતું. 2200 જગ્યાની ભરતી બહાર પડી હતીમહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે માસથી વહીવટી માળખાને મજબૂત કરવા અને ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે બઢતી, બદલી અને નવી ભરતીની પ્રક્રિયા પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. આ કવાયત અંતર્ગત વિવિધ કેડરની અંદાજે 2200 જેટલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી, જેમાં મેનેજર જેવી ઉચ્ચ કક્ષાની પોસ્ટનો પણ સમાવેશ થાય છે. પૂર્વ મહિલા કર્મચારીને પરીક્ષાનો કોલલેટર મળ્યોઆ ભરતી પ્રક્રિયાના ભાગરૂપે લાયક ઉમેદવારોને પરીક્ષાના કોલ લેટર ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. મનપામાં પ્રથમ શ્રેણીના ક્લાર્ક તરીકે ફરજ બજાવી ચૂકેલા અને અંદાજે 30 મહિના એટલે કે અઢી વર્ષ પૂર્વે નિવૃત્ત થઈ ગયેલા એક મહિલા કર્મચારીના ઘરે ટપાલ દ્વારા પરીક્ષાનો કોલ લેટર પહોંચ્યો હતો. આ પત્રમાં તેમને મેનેજરની પોસ્ટ માટેની લેખિત પરીક્ષામાં હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. મ્યુનિસિપલ એમ્પ્લોઈઝ સ્ટાફ યુનિયનના પ્રમુખ મોહમ્મદ ઇકબાલ શેખે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકામાં આજે જ્યારે 30,000માંથી 8,000 જગ્યાઓ ખાલી છે, એ ખાલી જગ્યાઓ ભરવા માટે અમારા યુનિયન તરફથી ઘણા લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી છે અને એના અનુસંધાનમાં અત્યારે 2,200 જેટલી જગ્યાઓ ભરવાની કાર્યવાહી કરવામાં આવી છે, જેને અમે આવકારીએ છીએ. નોકરીની ફરજ દરમિયાન ફોર્મ ભર્યું હતુંપરંતુ આ કાર્યવાહી દરમિયાન એક આશ્ચર્યજનક કિસ્સો અમારા ધ્યાન પર આવ્યો છે. એ કિસ્સામાં એક મહિલા કર્મચારી કે જેઓ દિવ્યાંગ છે અને અઠવા ઝોન ખાતે પોતાની ફરજ બજાવતા હતા અને 31-10-2023ના રોજ પોતાની ફરજમાંથી નિવૃત્ત થયા. એમની ચાલુ નોકરી દરમિયાન જ્યારે મેનેજરની જગ્યાની જાહેરાત પડી ત્યારે એમણે એ માટેનું ફોર્મ પણ ભર્યું અને આ મેનેજરની જે પરીક્ષા છે એ આગામી રવિવારે 14મી તારીખે લેવાનાર છે. મ્યુનિસિપિલ કમિશનરને રજૂઆત કરીતેનો કોલ લેટર આ મહિલા કર્મચારીને મળ્યો ત્યારે એમને પણ ખૂબ આશ્ચર્ય થયું. એમના પરિવારને પણ ખૂબ આશ્ચર્ય થયું. જ્યારે નિવૃત્ત થઈ ગયા કર્મચારી, એમની 58 વર્ષની ઉંમર પૂરી થઈ ગઈ હોય તો પછી આ કોલ લેટર કેવી રીતે નીકળી શકે? એ બાબતે કોઈપણ અધિકારીનું ધ્યાન જ ન ગયું. તો આ પ્રકારે જે કંઈ બેદરકારી થઈ છે, એ બેદરકારીની સામે મ્યુનિસિપલ કમિશનર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે તે માટે અમારા યુનિયન તરફથી રજૂઆત કરવામાં આવી છે.
રાજ્યભરમાં યોજાનારી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયામાં ઉમેદવારોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે. વિવિધ સ્તરે મોટી સંખ્યામાં ફોર્મ ભરાતા રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે, જેના કારણે આગામી સમયમાં અનેક બેઠકો પર રસાકસીભરી જંગ જામવાની શક્યતા છે. મોરબીમાં સૌથી વધુ 31 ફોર્મ નોંધાયામહાનગરપાલિકાઓની વાત કરીએ તો મોરબીમાં સૌથી વધુ 31 ફોર્મ નોંધાયા છે, જ્યારે નડિયાદમાં 16, અમદાવાદમાં 15 અને જામનગરમાં 14 ફોર્મ ભરાતા સ્પર્ધા કઠિન બની છે. જોકે, પોરબંદરમાં એકપણ ફોર્મ ન ભરાતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. નગરપાલિકા સ્તરે પંચમહાલના ગોધરામાં 31 અને શહેરામાં 30 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. આ ઉપરાંત ગાંધીનગરના કલોલમાં 22 અને નર્મદાના રાજપીપળામાં 12 ફોર્મ ભરાયા છે. સાબરકાંઠા અને અમરેલીમાં 17-17 ફોર્મ નોંધાયાજિલ્લા પંચાયતોમાં જૂનાગઢ 25 ફોર્મ સાથે મોખરે છે, જ્યારે ગાંધીનગર, સાબરકાંઠા અને અમરેલીમાં 17-17 ફોર્મ નોંધાયા છે. બીજી તરફ, કચ્છ જિલ્લામાં ઉમેદવારી ફોર્મની સંખ્યા શૂન્ય રહેતા રાજકીય ચર્ચાઓ તેજ બની છે. ખેડબ્રહ્મામાં 32 અને પોશીનામાં 28 ફોર્મ ભરાયાતાલુકા પંચાયત સ્તરે સૌથી વધુ રસાકસી જોવા મળી રહી છે, જેમાં સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 32 અને પોશીનામાં 28 ફોર્મ ભરાયા છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 30 અને જૂનાગઢના માણાવદરમાં 29 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે રાજ્યભરમાં ચૂંટણીને લઈને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ છે. કેટલાક વિસ્તારોમાં ભારે ટક્કર તો કેટલાક વિસ્તારોમાં એકતરફી જીતની સંભાવનાઓ વચ્ચે આ ચૂંટણી ખૂબ જ રસપ્રદ બનવાની છે. મહાનગરપાલિકામાં ફોર્મ ભરાયા નગરપાલિકામાં ફોર્મ ભરાયા જિલ્લા પંચાયતમાં ફોર્મ ભરાયા તાલુકા પંચાયતમાં ફોર્મ ભરાયા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા તેજ બની છે. ગોધરા, શહેરા નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે આજે 9 એપ્રિલે કુલ 91 ઉમેદવારી પત્રો ભરાયા હતા. ગોધરા નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટે અત્યાર સુધીમાં કુલ 421 ઉમેદવારી પત્રોનો ઉપાડ થયો છે. આજ રોજ ભરાયેલા 91 ઉમેદવારી પત્રોમાં જિલ્લા પંચાયત માટે 7, તાલુકા પંચાયત માટે 32, ગોધરા નગરપાલિકા માટે 24 અને શહેરા નગરપાલિકા માટે 28 ફોર્મનો સમાવેશ થાય છે. ગોધરા નગરપાલિકામાં ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે વધુ 115 ઉમેદવારી પત્રોનો ઉપાડ થયો હતો. આ સાથે, ગોધરા નગરપાલિકાની કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે અત્યાર સુધીમાં કુલ 421 ઉમેદવારી ફોર્મ ઉપાડવામાં આવ્યા છે.
Middle East Ceasefire Crisis : અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહ માટે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે. આ ડીલ કરાવવામાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફ અને આર્મી ચીફ ફિલ્ડ માર્શલ આસિમ મુનીરે મહત્વની ભૂમિકા ભજવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાને એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ યુદ્ધવિરામ લેબનોન સહિત તમામ મોરચે લાગુ થશે. જોકે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટ કહ્યું છે કે આ સીઝફાયર લેબનોન પર લાગુ પડતું નથી. પાકિસ્તાન ‘ડબલ ગેમ’નો શિકાર ?
પંચમહાલમાં કોંગ્રેસ 41 બેઠકો પર ઉમેદવારો ઉતારશે:ગોધરા જિલ્લા-તાલુકા પંચાયત ચૂંટણી માટે રણનીતિ જાહેર
પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ગોધરા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે કોંગ્રેસે પોતાની રણનીતિ સ્પષ્ટ કરી છે. પક્ષે કુલ 41 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવાનો નિર્ણય કર્યો છે. આ 41 બેઠકોમાં ગોધરા તાલુકા પંચાયતની 32 બેઠકો અને જિલ્લા પંચાયતની ગોધરા હસ્તકની 9 બેઠકોનો સમાવેશ થાય છે. કોંગ્રેસ આ તમામ બેઠકો પર પોતાના પ્રતિનિધિઓને મેદાનમાં ઉતારશે. જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પક્ષના મોવડી મંડળની હાજરીમાં તમામ સંભવિત ઉમેદવારોના ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. કોંગ્રેસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તૈયાર કરાયેલા આ તમામ ઉમેદવારી પત્રો આવતીકાલે વિધિવત રીતે ચૂંટણી અધિકારી (RO) સમક્ષ રજૂ કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકા તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા વેગ પકડી રહી છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉમેદવારી ફોર્મ વિતરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવ્યા બાદ છેલ્લા 4 દિવસમાં વિવિધ બેઠકો માટે કુલ 90 ફોર્મ ભરાઈને પરત આવ્યા હતા. જેમાં 8 એપ્રિલના રોજ 13 ફોર્મ અને 9 એપ્રિલના રોજ 77 ફોર્મ ભરાયા હતા. 6 એપ્રિલથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થયા બાદ પ્રથમ બે દિવસમાં કોઈ ફોર્મ જમા થયા નહોતા. પરંતુ છેલ્લા બે દિવસમાં ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. જિલ્લાની 11 તાલુકા પંચાયતની 202 બેઠક માટે સૌથી વધુ ફોર્મ ભરાયા હતા. જેમાં 8 એપ્રિલે 11 અને 9 એપ્રિલે 59 મળીને કુલ 70 ઉમેદવારી પત્ર રજૂ કરવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયતની 36 બેઠક માટે અત્યાર સુધીમાં કુલ 9 ફોર્મ ભરાયા હતા. જેમાં 8 એપ્રિલે 2 અને 9 એપ્રિલે 7 ફોર્મનો સમાવેશ થાય છે. મહાનગરપાલિકાના 18 વોર્ડની ચૂંટણી માટે છેલ્લા બે દિવસમાં 11 ફોર્મ ભરાયા હતા. જેમાં તમામ ફોર્મ 9 એપ્રિલના રોજ જ પ્રાપ્ત થયા હતા. જોકે, ગોંડલ નગરપાલિકાની ચૂંટણી માટે હજુ સુધી એક પણ ઉમેદવારી ફોર્મ ભરાઈને પરત આવ્યું નથી. આમ, જિલ્લામાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. આદર્શ આચારસંહિતાનો કડક અમલરાજકોટ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા આદર્શ આચારસંહિતાનો અત્યંત કડકાઈથી અમલ કરવામાં આવી રહ્યો છે. ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવેલી રાજકીય પ્રચારાત્મક સામગ્રીને હટાવવાની કામગીરી વેગવંતી બની છે. અત્યાર સુધીમાં સમગ્ર જિલ્લામાં કુલ 3,211 જેટલી પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે. જેમાં જાહેર અને ખાનગી મિલકતોનો સમાવેશ થાય છે. આચારસંહિતાના નોડલ અધિકારી અને અધિક કલેક્ટર કચેરી દ્વારા પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, જાહેર મિલકતો પરથી કુલ 3,191 પ્રચાર સામગ્રી હટાવવામાં આવી છે. કાર્યવાહીમાં દીવાલ પર લખાયેલા 537 લખાણો હટાવી નાખવામાં આવ્યા હતા. જ્યારે 2,307 પોસ્ટર્સ, 253 બેનર્સ અને 94 અન્ય પ્રકારની સામગ્રી જપ્ત કરી દૂર કરવામાં આવી છે. આ ઉપરાંત, ખાનગી મિલકતો પર પરવાનગી વગર લગાવાયેલી 20 પ્રચાર સામગ્રી પણ વહીવટી તંત્ર દ્વારા હટાવી દેવામાં આવી છે. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે. AAPના વોર્ડ 14ના ઉમેદવારો આવતીકાલે ફોર્મ ભરશેસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું 26મીએ મતદાન છે. એ માટે ઉમેદવારી ફોર્મ ભરવાને હવે માત્ર 2 દિવસ બાકી છે. કોંગ્રેસે પ્રથમ યાદીમાં 40 નામો જાહેર કર્યા હતા અને હજુ 32 નામો બાકી છે. જોકે, વોર્ડ નંબર 15માં પ્રવિણ સોરાણી અને સાગઠીયા વચ્ચેની મડાગાંઠ હજુ યથાવત છે, જેના કારણે આ વોર્ડના નામો જાહેર થશે કે કેમ તે અંગે સસ્પેન્સ યથાવત છે. જો કે કોંગ્રેસના અન્ય મોટાભાગના ઉમેદવારો આવતીકાલે ફોર્મ ભરે તેવી સંભાવના છે. બીજી તરફ, આમ આદમી પાર્ટીએ પણ પોતાની તૈયારીઓ તેજ કરી છે. રાજકોટ મહાપાલિકાના વોર્ડ નંબર 14ના 'આપ' ના ઉમેદવારો નૈમિષ પાટડીયા, જયદીપ નકુમ, સોનલબેન વિરાણી અને શીતલબેન ગોહેલ આવતીકાલે ફોર્મ ભરશે. ઉમેદવારો સવારે 11:30 કલાકે ગીતા મંદિર સામે આવેલા મનસા તીર્થ કાર્યાલયથી નીકળી બપોરે 12:40ના વિજય મુહૂર્તમાં કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી પત્ર રજૂ કરશે. આ પ્રસંગે કાર્યકર્તાઓ અને શુભેચ્છકોને મોટી સંખ્યામાં હાજર રહેવા અપીલ કરવામાં આવી છે. સિવિલમાં અનેક અમરનાથ યાત્રિકો મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ માટે રઝળ્યાઅમરનાથ યાત્રા માટે શ્રાઈન બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલી ગાઈડલાઈન મુજબ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ મેળવવું અનિવાર્ય છે. જોકે, રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આ પ્રક્રિયા હજુ સુધી વિધિવત રીતે શરૂ ન થતા યાત્રિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, ઓનલાઇન વેબસાઇટ ઉપર રાજકોટ મેડિકલ કોલેજનું નામ સર્ટિફિકેટ માટે અપલોડ કરી દેવામાં આવ્યું છે, પરંતુ સરકાર સ્થાનિક તંત્રને તેની જાણ કરવાનું જ ભૂલી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં યાત્રિકો હોસ્પિટલ પહોંચી ગયા હતા, પરંતુ તંત્ર દ્વારા કોઈ સ્પષ્ટ માહિતી કે કામગીરી શરૂ ન કરાતા ભાવિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અનેક યાત્રિકો કેસ કઢાવીને સવારના 6 વાગ્યાથી કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા હતા. જ્યારે હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી, ત્યારે તેઓએ જણાવ્યું કે રાજ્ય સરકાર અથવા સંબંધિત વિભાગ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સૂચના મળી નથી. બીજી તરફ ધોરાજી, ગોંડલ, અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં આ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે રાજકોટમાં સંકલનના અભાવે યાત્રિકોને ઘરધક્કા થઈ રહ્યા છે. છેલ્લા 15-20 વર્ષથી યાત્રા કરતા અનુભવી યાત્રિકોએ જણાવ્યું કે દર વર્ષે અહીં જ મેડિકલ થાય છે, પરંતુ આ વર્ષે તંત્રની ઉદાસીનતાને કારણે યાત્રિકો અટવાયા છે. દૂર-દૂરથી આવતા યાત્રિકો માટે આ વિલંબ આર્થિક અને શારીરિક રીતે મુશ્કેલ સાબિત થઈ રહ્યો છે, જેથી તંત્ર વહેલી તકે આ પ્રક્રિયા શરૂ કરે તેવી માંગ ઉઠી છે.
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ગલકુંડ ગામમાં એક દુર્લભ કુદરતી ઘટના સામે આવી છે. અહીં પ્રગતિશીલ ખેડૂત અનિલભાઈ રાવજીભાઈ ગરાસિયાના ખેતરમાં સુરણનું દુર્લભ ફૂલ ખીલ્યું છે, જે સ્થાનિકો અને વનસ્પતિ પ્રેમીઓમાં ભારે ઉત્સુકતા જગાવી રહ્યું છે. સુરણનો ઉપયોગ સામાન્ય રીતે શાકભાજી તરીકે થાય છે, પરંતુ તેનું ફૂલ ખીલવું અત્યંત દુર્લભ ઘટના છે. ખેડૂત અનિલભાઈના જણાવ્યા અનુસાર, આ ફૂલ દર પાંચ વર્ષે એક જ વાર ખીલે છે. ખીલ્યા પછી થોડા સમયમાં તે કરમાઈ જાય છે. પાંચ વર્ષ પહેલાં પણ આવું જ ફૂલ જોવા મળ્યું હતું, અને હવે ફરીથી ખીલતાં ગામમાં આશ્ચર્ય અને ઉત્સાહનો માહોલ છે. આ અનોખી ઘટનાની જાણ થતાં જ આસપાસના ગામડાઓ અને આહવા નગરમાંથી મોટી સંખ્યામાં લોકો ગલકુંડ ગામ પહોંચી રહ્યા છે. અનિલભાઈના ખેતરમાં ફૂલ જોવા માટે લોકોની ભીડ જામી છે. ફૂલનો વિશાળ આકાર, તેની અનોખી રચના અને વિશિષ્ટ દેખાવ લોકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સ્થાનિકો આ ફૂલને કુદરતનો એક ચમત્કાર માની રહ્યા છે. આ દુર્લભ વનસ્પતિ અંગે વૈજ્ઞાનિક રીતે વધુ જાણકારી મેળવવાની જરૂરિયાત પણ વ્યક્ત થઈ રહી છે. ખેડૂત અનિલભાઈ અને ગામલોકોએ ખેતીવાડી વિભાગ તેમજ કૃષિ વૈજ્ઞાનિકોને સ્થળ પર આવી સુરણના ફૂલના આ ચક્ર વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા અપીલ કરી છે. જો આ દિશામાં યોગ્ય સંશોધન થાય, તો ડાંગ જિલ્લાની સમૃદ્ધ જૈવવિવિધતા અંગે વધુ મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે. આનાથી ભવિષ્યની પેઢીઓ માટે કુદરતી સંપત્તિનું સંરક્ષણ પણ શક્ય બનશે.
વડોદરાના ગોલ્ડન બ્રિજ જંકશન પર વરસાદી લાઇન કામગીરીને કારણે વડોદરા શહેર પોલીસ કમિશનરે ટ્રાફિક માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જેને લઈને કેટલાક રસ્તાઓ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને વાહનોની અવરજવર માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વડોદરા મહાનગર પાલિકાની ડેનેજ-વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ દ્વારા જાહેર કરાયેલા પત્ર અનુસાર શહેરના વિવિધ જંકશનો પર વરસાદી ગટર લાઇનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આજવા, વાઘોડીયા, કપુરાઈ અને તરસાલી જંકશન પર કામ પૂર્ણ થયા બાદ હવે બાકી રહેલા ગોલ્ડન બ્રિજ જંકશન પર પ્રી-કાસ્ટ બોક્સ (3.0 મી. x 3.0 મી.) દ્વારા નવી વરસાદી લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ કામગીરી દરમિયાન ગોલ્ડન બ્રિજથી શહેર તરફ અવરજવર કરતા તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરીજનોને ઓછામાં ઓછી અગવડતા થાય અને ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રીતે ચાલુ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અમલમાં મૂકવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ, 1951ની કલમ 33(1)(બી) હેઠળ મળેલ સત્તાનો ઉપયોગ કરી તા. 10 એપ્રિલ, 2026 થી તા. 25 એપ્રિલ, 2026 સુધી (અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી) ટ્રાફિક નિયંત્રણ અંગે આ જાહેરનામું અમલમાં રહેશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના યુવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ પોતાના જન્મદિવસ નિમિત્તે આસ્થા અને સેવાભાવનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના ચરણે ₹5 કરોડનું દાન શિવાર્પણ કરીને શ્રી સોમનાથ ટ્રસ્ટ સંચાલિત નિઃશુલ્ક ભોજનાલય માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આ દાનથી આગામી એક વર્ષ સુધી સોમનાથ આવતા લાખો શ્રદ્ધાળુઓને નિઃશુલ્ક ભોજન પ્રસાદ મળી રહેશે. ભક્તોને સેવા આપવાનો આ પ્રકલ્પ સોમનાથ ટ્રસ્ટની સૌથી અગત્યની સેવાઓમાંનો એક છે, જેમાં દરરોજ મોટી સંખ્યામાં યાત્રિકોને ભોજન પૂરું પાડવામાં આવે છે. અનંત અંબાણીની સોમનાથ મહાદેવ પ્રત્યેની અતૂટ આસ્થા અગાઉ પણ દર્શાઈ ચૂકી છે. ચાલુ વર્ષના પ્રારંભે પણ તેમણે સોમનાથ મહાદેવના દર્શન-પૂજન સાથે ₹5 કરોડનું દાન અર્પણ કર્યું હતું. 09 એપ્રિલના રોજ પોતાના જન્મદિવસ પ્રસંગે ફરી એકવાર તેમણે ભક્તોની સેવા માટે આ માતબર રકમનું શિવાર્પણ કર્યું છે. આ યોગદાનનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સોમનાથ આવતા કોઈપણ ભક્તને ભૂખ્યો ન રહેવા દેવાનો સંકલ્પ સાકાર થાય. શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત ભોજનાલય સેવા યાત્રિકો માટે પાયાની સુવિધા બની રહી છે. જન્મદિવસ નિમિત્તે રિલાયન્સ પરિવાર દ્વારા સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા તથા સાયમ વિશેષ શૃંગાર પૂજા સહિત ધાર્મિક વિધિઓ પણ ભક્તિભાવથી અર્પણ કરવામાં આવી હતી.
ભાવનગર શહેરમાં હાલ ચાલી રહેલી આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટ પર રમાતા સટ્ટાના નેટવર્કનો ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાયેલી મેચ પર સોદા પાડતા એક શખસની પોલીસે અટકાયત કરી છે. ચોક્કસ બાતમીના આધારે રેઈડલોકલ ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ જ્યારે સીટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને બાતમી મળી હતી કે, શિવાજી સર્કલથી સુભાષનગર જતા રોડ પર આવેલા મ્યુનિસિપલ શોપિંગ સેન્ટર પાસે એક શખસ પોતાના મોબાઈલમાં વેબસાઈટ અને આઈડી મારફતે સટ્ટો રમી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી રેઈડ કરી હતી. મુકેશ ઢાપાની ધરપકડ અને મુદ્દામાલ જપ્તરેઈડ દરમિયાન મુકેશ હિંમતભાઈ ઢાપા (રહે. મહાદેવનગર, તરસમીયા રોડ, ભાવનગર) ઓનલાઇન આઈડી પર ક્રિકેટ મેચના હારજીતના સોદા કરતા ઝડપાઈ ગયો હતો. પોલીસે તેની પાસેથી: રોકડ રકમ: ₹1,100મોબાઈલ ફોન: ₹10,000ની કિંમતનોકુલ મળીને ₹11,100 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પારૂલ સોસાયટીના બુકીનું નામ ખુલ્યુંઝડપાયેલા શખ્સની વધુ પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે, તેને આ ક્રિકેટ સટ્ટાનું યુઝર આઈડી અને પાસવર્ડ શહેરની પારૂલ સોસાયટીમાં રહેતા કનુ આહિર નામના શખ્સે આપ્યું હતું. કનુ આહિરે ગત તા. 6 એપ્રિલના રોજ ₹30,000નું બેલેન્સ કરી વોટ્સએપ દ્વારા આઈડી પ્રોવાઈડ કર્યું હતું અને હારજીતનો હિસાબ કરવાનું નક્કી કર્યું હતું. ક્રાઈમ બ્રાંચે આ મામલે મુકેશ ઢાપા અને કનુ આહિર વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં જુગાર અટકાયતી અધિનિયમ (જુગારધારા) હેઠળ ગુનો દાખલ કરાવી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ હવે આ નેટવર્કના અન્ય તાર શોધવા માટે કનુ આહિરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
શું ખાલી 10 મિનિટમાં જ આખી દુનિયા બદલાઈ શકે? ગઈકાલે 8 એપ્રિલે લેબનોનમાં એ જ થયું. એક બાજુ ઈસ્લામાબાદમાં શાંતિની ટેબલ સજાઈ રહી હતી, ત્યારે બીજી બાજુ ઈઝરાયેલે હિઝબુલ્લાહને હરાવવા 10 મિનિટમાં 100 એરસ્ટ્રાઈક કરી. જેમાં 254 લોકોના મોત થયા અને હજારો ઘાયલ થતા હોસ્પિટલ ઓવરફ્લો થઈ. દુનિયાએ જેને યુદ્ધવિરામ સમજ્યું, ત્યાં અત્યારે લોહીની નદીઓ વહી રહી છે! અસલી ટ્વિસ્ટ તો એ છે કે ટ્રમ્પ કહે છે લેબનોન તો નાની ઝપાઝપી છે, એને શાંતિ મંત્રણા સાથે કોઈ લેવાદેવા નથી! આ સાંભળીને ઈરાન લાલઘૂમ થયું અને ફરીથી હોર્મુઝ બંધ કરીને દુનિયાની સપ્લાય ચેઈનની નસ દાબી દીધી. હવે સવાલ એ છે કે આવતીકાલે પાકિસ્તાનના ઈસ્લામાબાદની શાંતિ મીટિંગમાં વાતચીત થશે કે ત્રીજા વિશ્વ યુદ્ધની તૈયારીઓ? આ બધા વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે ચીન કેવી રીતે પાકિસ્તાનને આગળ ધરીને પડદા પાછળ યુદ્ધ વિરામની ગેમ રહ્યું છે. મિડલ ઈસ્ટના રણમેદાનની પળેપળની વાત કરીએ નમસ્કાર... ગઈકાલનો દિવસ લેબનોનના ઈતિહાસમાં છેલ્લા 30 વર્ષનો સૌથી લોહિયાળ દિવસ સાબિત થયો છે, જેને હવે બ્લેક વેડનેસડે તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસે ઓપરેશન ઈટર્નલ ડાર્કનેસ ચલાવીને લેબનોનમાં હિઝબુલ્લાહ પર હવાઈ હુમલા કર્યાં. આ હુમલાઓ એટલા ભયાનક હતા કે બેરૂતના દહિયેહ, બેકા વેલી અને દક્ષિણ લેબનોનના વિસ્તારો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયા. લેબનોનના હેલ્થ ડિપાર્ટમેન્ટના ઓફિશિયલ આંકડાઓ કહે છે કે આ હુમલામાં અત્યાર સુધીમાં 254 લોકોના મોત થયા છે અને 1 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. બેરૂતની હોસ્પિટલો અત્યારે 200% ક્ષમતા પર કામ કરી રહી છે, ત્યાં બ્લડ સપ્લાય ખૂટી પડ્યો છે અને મેડિકલ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. ઈઝરાયેલનો દાવો છે કે આ હુમલાઓ હિઝબુલ્લાહના અંડરગ્રાઉન્ડ કમાન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હથિયારોના ડેપોને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા, કારણ કે તેમને સિક્રેટ ઈન્ફોર્મેશન મળી હતી કે હિઝબુલ્લાહ મોટા પાયે ડ્રોન હુમલા કરવાની તૈયારીમાં હતું. યુદ્ધવિરામની સ્થિતિ વચ્ચે ભીષણ હુમલો અહીં સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે જ્યારે પાકિસ્તાનની મધ્યસ્થીથી 2 અઠવાડિયાના યુદ્ધવિરામની વાત ચાલી રહી હતી, ત્યારે આટલો મોટો હુમલો કેમ થયો? આની પાછળ એક મોટી ડિપ્લોમેટિક અને લશ્કરી ગૂંચવણ જવાબદાર છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સ્પષ્ટપણે માને છે કે પાકિસ્તાને જે યુદ્ધવિરામ કરાવ્યો છે, તે માત્ર ઈઝરાયેલ-ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધ પૂરતો જ લિમિટેડ છે. ટ્રમ્પનું એ નિવેદન અને ટ્વિસ્ટ ટ્રમ્પ સરકારનું કહેવું છે કે લેબનોનમાં જે થઈ રહ્યું છે તે એક અલગ અથડામણ છે. તેને ઈરાન સાથેના યુદ્ધવિરામ સાથે કોઈ લેવાદેવા નથી. ઈઝરાયેલનું એવું કહેવું છે કે જ્યાં સુધી હિઝબુલ્લાહનો ખતરો પૂરી રીતે ખતમ ન થાય, ત્યાં સુધી તે લેબનોનમાં હુમલા રોકશે નહીં. બીજી બાજુ, ઈરાને આ હુમલાઓને યુદ્ધવિરામનું સીધું ઉલ્લંઘન ગણાવ્યું છે. ઈરાનનો અલ્ટીમેટમ છે કે જો લેબનોન પરના હુમલા નહીં અટકે, તો તે પસ્તાવો થાય તેવી તાકાતથી વળતો પ્રહાર કરશે. બીજી બાજુ, અમેરિકા અને ઈઝરાયેલ લેબનોનને આ યુદ્ધવિરામથી અલગ જ રાખવા માંગે છે. ઇરાન હિઝબુલ્લાહને પંપાળે છે પણ એક સવાલ થાય કે ઈરાન કેમ નથી ઈચ્છતું કે લેબનોન પર હુમલા ન થાય? જવાબ છે તેમનું જ પોષેલું પ્રોક્સી ગ્રુપ હિઝબુલ્લાહ. લેબનોનમાં હિઝબુલ્લાહનો અડ્ડો અને પ્રભાવ છે. જે ઈઝરાયલ માટે મોટો ખતરો છે કારણ કે ઈઝરાયલને પતાવી દેવાની હિઝબુલ્લાહે કસમ ખાધી છે. આ બધા વચ્ચે ટ્રમ્પે ફરી ધમકી આપી કે જો ઈરાન યુદ્ધ બંધ નહીં કરે તો એટલી તાકાતથી ગોળીબાર થશે કે દુનિયાએ ક્યારેય નહીં જોયો હોય. દુનિયાના 7 યુદ્ધ રોકાવવાનો દાવો કરીને પોતાની પીઠ થબથબાવતા ટ્રમ્પ શાંતિ દૂતથી શાબ્દિક હુમલાખોર બની ગયા છે. હોર્મુઝ સ્ટ્રેટ ફરી બંધ કરી ઇરાને નસ દબાવી જેના કારણે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ એટલે કે IRGCએ એક એવો નિર્ણય લીધો છે જે ફરી આખી દુનિયાની ઈકોનોમીને હચમચાવી નાખે તેવો છે. ઈરાને ફરી હોર્મુઝના જલડમરુંને બંધ કરી દીધું છે. ઈરાનનું કહેવું છે કે જો લેબનોન પર હુમલાઓ ચાલુ રહેશે તો સીઝફાયર પૂરો નહીં કહેવાય. આના લીધી જે તેલ અને ગેસના ભાવ થોડા તો થોડા પણ ઘટ્યા હતા તે ફરી આસમાને આવી શકે છે. એશિયન બજાર પણ ગઈકાલે જોરમાં હતી પણ સવારે ખુલતાની સાથે જ ભોંય તળીએ બેસી ગઈ. આવું કરીને ઈરાને અમેરિકાને બીટવીન ધ લાઈન્સ ધમકી આપી છે કે તમે કેમ તેમ દુનિયા ન ચાલે. હોર્મુઝમાં ટોલ વસૂલવાનો ઇરાનનો પ્લાન ગઈકાલે આપણે વાત કરી હતી કે ઈરાન હોર્મુઝમાંથી જેટલા પણ તેલ કે ગેસના ટેન્કર આવશે તેની પાસેથી કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલવાનું છે. આપણે એવી પણ વાત કરી હતી કે ઈરાને ઓમાનને આ ટેક્સના રૂપિયા શેર કરવાની વાત કરી હતી. પણ આજે અપડેટ કંઈક એવું છે કે ઓમાને ઈરાનની હોર્મુજ ટોલ ઉઘરાણી લેવાની જ ના પાડી દીધી છે. ઓમાનનું કહેવું છે કે તે ઈન્ટરનેશનલ મેરિટાઈમ રૂલ્સ ફોલો કરશે અને ગેરકાયદેસર રીતે કોઈ પાસેથી ટેક્સ નહીં વસૂલે. એક અંદાજ મુજબ જો ઈરાન હોર્મુઝથી નીકળતા તેલના દર બેરલે ખાલી 1 ડોલર પણ ટેક્સ લે તો વર્ષે ઈરાનને 67 હજાર કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થઈ શકે છે. ખાસ વાત અહીં એ છે કે આ પેમેન્ટ ક્રિપ્ટો કરન્સીમાં જ લેવામાં આવશે એટલે અમેરિકાના ડોલરના ડોમિનન્સને ટક્કર આપી શકાય. ટ્રમ્પને રોકવા અમેરિકામાં પ્રસ્તાવ લવાશે રિપોર્ટ એવા પણ આવી રહ્યા છે કે અમેરિકી સેનેટમાં ટ્રમ્પની યુદ્ધ લડવાવાળી તાકાત પર કન્ટ્રોલ કરવા મહત્વના પ્રસ્તાવો પર મતદાન પણ થઈ શકે છે. આનો મતલબ એવો થાય કે ટ્રમ્પ હવે ઈરાન સામે પોતાની સંસદની મંજૂરી વગર મનફાવે તેમ લશ્કરી કાર્યવાહી નહીં કરી શકે. ટૂંકમાં ટ્રમ્પ પોતાના જ દેશમાં પોલિટિકલ વિરોધનો સામનો કરી રહ્યા છે. જો ખરેખર આ સાચું હોય તો આવતીકાલે પાકિસ્તાનમાં યુદ્ધ પૂરું કરવા મીટિંગ થવાની છે તેમાં અમેરિકા નહીં પણ ઈરાન મજબૂત દેખાશે. 10 એપ્રિલે ઇસ્લામાબાદમાં શાંતિ મંત્રણા યુદ્ધના મેદાનમાં ગાજતી તોપો વચ્ચે આવતીકાલે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં યુદ્ધ બંધ થાય તેના માટે અમેરિકા અને ઈઝરાયલની મીટિંગ થવાની છે. એકબાજુ ઈરાનના 10 પોઈન્ટના તો બીજી બાજુ અમેરિકાનો 15 પોઈન્ટના મુદ્દા છે. જો કે વ્હાઈટ હાઉસથી તો ભરી પ્રેસ કોન્ફરન્સમાં એવી વાત કહી દેવામાં આવી છે કે ટ્રમ્પે ઈરાનના 10 પોઈન્ટના પ્રસ્તાવને ફાડીને કચરાપેટીમાં ફેંકી દીધો છે. ટ્રમ્પે આવું કેમ કર્યું તેના તેમના મુજબ 3 કારણ હોઈ શકે. સવાર સવારમાં ટ્રમ્પે તડાફડી બોલાવી ટ્રમ્પે વહેલી સવારે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને કરીને જણાવ્યું કે ઈરાનનો આ પ્લાન અમેરિકાના લોકોનું અપમાન છે. ઈરાને આ પ્રસ્તાવમાં તમામ પ્રતિબંધો હટાવવા અને મધ્ય પૂર્વમાંથી અમેરિકી સૈન્યની સંપૂર્ણ વાપસીની માંગ કરી હતી, જે ટ્રમ્પ માટે સ્વીકારવી અશક્ય છે.ઈરાન પાસે હાલમાં 60% શુદ્ધતા ધરાવતા યુરેનિયમનો મોટો જથ્થો છે. ટ્રમ્પનું કહેવું છે કે જ્યાં સુધી ઈરાન તેના પરમાણુ કાર્યક્રમ પર મજબૂત કાપ મૂકવા તૈયાર ન થાય, ત્યાં સુધી કોઈ પણ સંધિ ન થઈ શકે છે. ઈરાને શરત મૂકી હતી કે ઈઝરાયેલે લેબનોન પરના હુમલા તાત્કાલિક બંધ કરવા પડશે. ટ્રમ્પે આ શરતને ધરાર નકારી કાઢતા કહ્યું કે ઈઝરાયેલને હિઝબુલ્લાહ સામે કાર્યવાહી કરવા પૂરી છૂટ આપવી જોઈએ. એક્સપર્ટ્સનું કહેવું છે કે ટ્રમ્પનો આ એગ્રેસિવ એટિટ્યૂડ તેમની આર્ટ ઓફ ધ ડિલનો એક ભાગ હોઈ શકે છે. ઈસ્લામાબાદ સમિટ પહેલા તેઓ ઈરાનને પોતાની અપેક્ષાના તળીયે લઈ જવા માગતા હોય શકે. કારણ કે ટ્રમ્પ ઈરાનને એવો સંદેશ આપી રહ્યા છે કે અમેરિકા પોતાની શરતો પર જ સમજૂતી કરશે. પોતાના જ લોકો કહી રહ્યા છે કે યુદ્ધમાં ટ્રમ્પે પીછેહઠ કરી છે જ્યારે તે પોતાની નજરમાં ન પડી જાય તેના માટે પોતાને જ એવો અહેસાસ કરાવી રહ્યા છે કે તેઓ ઈરાન સામે જરા પણ સોફ્ટ નથી થયા. એક એંગલ એ પણ હોઈ શકે કે ટ્રમ્પ ઈન્ડાયરેક્ટ્લી ચીનને મેસેજ મોકલવા માગતા હોઈ શકે કે તમે તમારા દોસ્ત ઈરાનને સમજાવો કે બરોબર નિર્ણય લે બાકી મજા નહીં આવે. આ બધા વચ્ચે આવતીકાલે યુદ્ધ બંધ થાય તેના માટે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાનની મીટિંગ થઈ શકે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીરે ઈસ્લામાબાદ ટોક્સ માટે જોરદાર તૈયારીઓ કરી છે તેવા પણ અહેવાલો સામે આવી રહ્યા છે. પાકિસ્તાન પ્યાદું, પડદા પાછળ ડ્રેગન ચીન આ મંત્રણામાં પડદા પાછળ મોટી ભૂમિકા ભજવશે તેવી અંદરખાને ચર્ચાઓ છે. આ સિવાય મીટિંગના એજન્ડાની વાત કરીએ તો આવતીકાલે 2 અઠવાડિયાના વિરામને કાયમી વિરામમાં બદલવામાં આવે તેવી ચર્ચાઓ થઈ શકે. અમેરિકા પોતાના 15 પોઈન્ટ અને ઈરાન પોતાના 10 પોઈન્ટ પર પોતાના વ્યૂ આપી શકે છે. ગ્લોબલ ઓઈલ સપ્લાય માટે હોર્મુઝને કાયમી રીતે ખુલ્લું કરાવવાની પણ વાતચીત થઈ શકે. એવી પણ ચર્ચા છે કે ઈરાનને ટ્રાન્ઝિટ ફી લેવાની મંજૂરી આપી શકાય, જેનો ઉપયોગ ઈરાન યુદ્ધ પછી જે નુકસાન થયું છે તેની ભરપાઈ માટે કરી શકે. અમેરિકા ઈચ્છે છે કે ઈરાન હંમેશ માટે ન્યૂક્લિયર અખતરા બંધ કરે પણ ઈરાન એ વાત પર અડગ છે કે અમે અમારા નાગરિકોના બચાવ માટે ન્યૂક્લિયર મામલે કાર્યક્રમો ચાલુ રાખીશું જ. મંત્રણામાં લેબનોન ગળાનું હાડકું બની શકે પણ મીટિંગમાં એક મોટું જોખમ ઈઝરાયલન લેબનોન હુમલાનું છે. જો લેબનોનમાં ઈઝરાયલના એટેક નહીં અટકે તો એવું પણ બની શકે કે ઈરાન મીટિંગમાં આવે પણ નહીં. પાકિસ્તાન અત્યારે જેટલો દમ છે તેટલો લગાવીને પ્રયાસો કરી રહ્યું છે કારણ કે જો નિષ્ફળતા જાય તો કંગાળિયું પાકિસ્તાન ઓર મુસીબતમાં આવી શકે તેમ છે. અત્યારે તો પાકિસ્તાનમાં હળવું લોકડાઉન પણ લગાવવાની સરકારે જાહેરાત કરી છે. સામેની બાજુ અમેરિકાની વાત કરીએ તો ટ્રમ્પનું કહેવું છે કે જો હોર્મુઝ ખોલવામાં નહીં આવે કે ઈરાન તેમની વાત નહીં સાંભળે તો ઈરાનના દરિયાઈ વિસ્તારોમાં અમેરિકાના જહાજો ઉભા જ છે. બંને દેશોની ગરમા-ગરમીમાં પાકિસ્તાન બંને માથે બરફ મૂકવામાં કેવી રીતે સફળ થશે તે અલગ ચર્ચાનો વિષય છે. પણ એક સવાલ અત્યારે સૌથી વધુ ચર્ચાઈ રહ્યો છે કે યુદ્ધ વિરામ કરાવનાર અસલી ખેલાડી કોણ છે? પાકિસ્તાન ભલે આગળ રહીને મધ્યસ્થી કરાવી રહ્યું હોય પણ પડદા પાછળ આ બધુ કોણ કરાવી રહ્યું છે? અંદરખાને વાતો એવી આવી રહી છે કે આખી રમતનો માસ્ટરમાઈન્ડ ડ્રેગન હોઈ શકે છે. કારણ કે, ચીને આ યુદ્ધવિરામ માટે માત્ર ફોન કોલ્સ નથી કર્યા, પણ પોતાના રૂપિયાના પાવરનો પણ ઉપયોગ કર્યો છે. ચીન અત્યારે ઈરાનના તેલનો સૌથી મોટો ખરીદનાર દેશ છે. કહેવાય છે કે ચીનના વિદેશ મંત્રી વાંગ યી એ ઈરાનને ચોખ્ખી ચેતવણી આપી છે કે જો તેઓ યુદ્ધવિરામ માટે પોઝિટિવ નહીં રહે તો ચીન ઈરાનનું તેલ નહીં ખરીદે. વાંગ યી એ આ શાંતિ સ્થાપવા માટે રશિયા, ઈઝરાયેલ અને ગલ્ફ દેશો સાથે કુલ 26 હાઈ-લેવલ ફોન કોલ્સ કર્યા હતા. ચીને યુદ્ધ રોકવા માટે ફાઈવ-પોઈન્ટ પીસ પ્લાન રજૂ કર્યો છે, જે હાલમાં ઈસ્લામાબાદ મંત્રણાનો પાયો છે. આ પ્લાનમાં માત્ર યુદ્ધ રોકવાની જ નહીં, પરંતુ યુદ્ધ પછીની રાખ પર સિમેન્ટ ચઢે અને ઈમારતો બને તેવો પણ છે. એકવાત એવી પણ છે કે પાકિસ્તાનને ટ્રમ્પે જ આગળ કર્યું હતું જેથી અમેરિકા ઈરાન સામે ઝૂકતું ન દેખાય. જે. ડી વાન્સે ઈસ્લામાબાદ સાથે સિક્રેટ શરતો પણ નક્કી કરી છે જેમાં પાકિસ્તાનને ઈકોનોમિક સપોર્ટ કે સિક્યોરિટીનું ગાજર પણ બતાવાયું હોઈ શકે છે. જો ખરેખર આવું હોય તો અમેરિકા અને ચીન જે બંને વિરોધી છે તે પાકિસ્તાનનો ખરેખર ટોઈલેટ પેપરની જેમ ઉપયોગ કરી રહ્યું છે. પાકિસ્તાન પાડોશીના કહેવાથી જ નહીં પણ ગ્લોબલ પ્રેશનમાં પણ મધ્યસ્થી કરવા તૈયાર થયું હોઈ શકે. અને છેલ્લે... અડધા અધૂરા કાચા યુદ્ધ વિરામ બાદ પાકિસ્તાનની એક ટીવી ડિબેટમાં એક પેનાલિસ્ટે એવી જાહેરાત કરી દીધી કે શાંતિનો નોબલ પુરસ્કાર તો પ્રધાનમંત્રી શાહબાઝ શરીફને જ મળવો જોઈએ. અંદરથી એવું લાગ્યું હશે કે બહુ વધુ તો નહીં થઈ ગયું હોય ને? એટલે હળવેથી એવું પણ કહી દીધું કે ટ્રમ્પને પણ મળવો જોઈએ. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ-સમીર પરમાર)
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અનંત અંબાણીના 31મા જન્મદિવસની ઉજવણી જામનગર ખાતે કરવામાં આવી હતી. આ અવસરે સ્થાનિક સમુદાય માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં સેવા અને પરંપરાનો સમન્વય જોવા મળ્યો હતો. આગામી 10 એપ્રિલના રોજ અનંત અંબાણીનો જન્મદિવસ હોય તેની ઉજવણીના ભાગરૂપે, રિલાયન્સ ટાઉનશીપ અને તેની આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં લોકોએ આ મહાપ્રસાદનો લાભ લીધો હતો. અંબાણી પરિવારે પડોસી ગામોના નાગરિકોને આ ઉત્સવમાં સામેલ કર્યા હતા. આ પ્રસંગે, મોટી સંખ્યામાં ભૂદેવો અને બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ મંત્રોચ્ચાર સાથે અનંત અંબાણીને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. શાસ્ત્રોના જ્ઞાન સાથે જોડાયેલા વિદ્વાનોએ તેમના દીર્ઘાયુ અને સ્વાસ્થ્ય માટે વિશેષ પ્રાર્થના કરી હતી. મહાપ્રસાદ લેવા આવેલી તમામ મહિલાઓ અને દીકરીઓને ભેટ સ્વરૂપે સાડી અર્પણ કરવામાં આવી હતી. આ સન્માનથી પ્રભાવિત મહિલાઓએ અનંત અંબાણીને સો વર્ષના થાઓ અને હંમેશા તંદુરસ્ત રહો તેવા હૃદયપૂર્વકના આશીર્વાદ આપ્યા હતા. લોકસંસ્કૃતિના મહાકુંભ સમાન ભવ્ય ડાયરો આ જશ્નના ભાગરૂપે 09 એપ્રિલના રોજ મોટી ખાવડી પાસે આવેલા જોગવડ ગામમાં લોકસંસ્કૃતિના મહાકુંભ સમાન ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મંચ પરથી સાઈરામ દવે અને રાજભા ગઢવી જેવા દિગ્ગજ કલાકારો લોકસાહિત્યની રમઝટ બોલાવશે, જેમાં અંબાણી પરિવારના સભ્યો પણ હાજરી આપે તેવી શક્યતા છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા ખજોદ ડિસ્પોઝલ સાઈટ પર 24 માર્ચના રોજ લાગેલી આગ બાદ નીકળતા સતત ધુમાડાને રોકવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરાયો છે. આગ પર કાબૂ મેળવ્યા પછી પણ કચરાના ઢગલામાં ઊંડે પ્રસરેલા ધુમાડાને નાથવા માટે તંત્રએ રેનેઝાઇમ નામના વિશેષ બાયોકલ્ચર અને ફાયર ફોર્મના છંટકાવનો 'પ્રૂફ ઓફ કોન્સેપ્ટ' ડેમો હાથ ધર્યો છે. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય મિથેન ગેસને બ્રેક કરી અપૂર્ણ દહનની પ્રક્રિયાને અટકાવવાનો છે. આગની ઘટના અને પ્રારંભિક કામગીરી24 માર્ચ 2026ના રોજ બપોરે ખજોદ ખાતે સી.ડી. ટ્રાન્સપોર્ટ એજન્સી દ્વારા સંચાલિત પ્લાન્ટના RDF જથ્થામાં અચાનક આગ ફાટી નીકળી હતી. પવનની ગતિને કારણે આગ સેનેટરી લેન્ડફિલ સેલ સુધી પ્રસરી ગઈ હતી. ફાયર વિભાગે અંદાજે 82 લાખ લીટર પાણીના મારા સાથે 26 માર્ચની સાંજ સુધીમાં આગ પર અંકુશ મેળવ્યો હતો. ત્યારબાદ, આગ ફરી ન ફેલાય તે માટે 18 પોકલેન અને જેસીબીની મદદથી 1500 ટન માટીનો થર કચરા પર પાથરવામાં આવ્યો હતો. ધુમાડો નીકળવાના વૈજ્ઞાનિક કારણોઆગ ઓલવાઈ ગયા છતાં સાઈટ પર ધુમાડાનું સામ્રાજ્ય જળવાયેલું હોવા પાછળ નિષ્ણાતોએ ત્રણ મુખ્ય કારણો આપ્યા છે: નવીન ટેકનોલોજી અને આયોજન8 એપ્રિલ 2026ના રોજ મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં અમદાવાદના એક્સપર્ટ દ્વારા તૈયાર કરાયેલ પ્રવાહી બાયોકલ્ચરનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ પ્રવાહી મિથેન ગેસની અસરને તોડવાની ક્ષમતા ધરાવે છે. વધુમાં, ફાયર વિભાગ દ્વારા સ્પેશિયલ ફોર્મનો ઉપયોગ કરવાની અને આ તમામ દ્રવ્યોના છંટકાવ માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવાની શક્યતાઓ પણ ચકાસવામાં આવી રહી છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે SMC દ્વારા ડ્રીમ સિટીમાં 5 લાખ લીટરની ટાંકી પર પંપની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, વધતી ગરમીને જોતા આગના તણખાને વહેલી તકે ઓળખવા માટે સમગ્ર સાઈટ પર સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી પણ પ્રગતિમાં છે
પોરબંદર પેરોલ ફર્લો સ્ક્વોડે એક મોટી સફળતા મેળવી છે. કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા સાડા ચાર વર્ષથી ફરાર આરોપીને મુંબઈથી ઝડપી પાડવામાં આવ્યો છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ફરાર આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી હતી. આ ઝુંબેશ અંતર્ગત, પેરોલ ફર્લો સ્ક્વોડના એ.એસ.આઈ. એચ.આર. સિસોદિયા, જે.આર. કટારા, પિયુષભાઈ સિસોદિયા અને વજશીભાઈ વરૂને ચોક્કસ બાતમી મળી હતી કે કમલાબાગ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનાનો આરોપી મુંબઈમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે તપાસ કરતા, આરોપી સુમીત કમલ અંભવાની (ઉંમર 33, રહે. ઉલ્લાસનગર, મુંબઈ) મળી આવ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી હતી. વધુ તપાસ માટે આરોપીને કમલાબાગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરીમાં પેરોલ ફર્લો સ્ક્વોડના પી.એસ.આઈ. એચ.એમ. જાડેજા અને તેમની ટીમ તેમજ ટેકનિકલ સેલ પોરબંદરના કર્મચારીઓ જોડાયા હતા.
અમદાવાદમાં મહિલા પોલીસ અને નવરંગપુરા પોલીસ મથકે બે અલગ-અલગ ગુનાઓ નોંધાયા છે, જેમાં બોડકદેવની મહિલાએ લંડનમાં પતિ દ્વારા કરાયેલા શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ કરી છે, જ્યારે લો-ગાર્ડન ખાતે ફરજ બજાવતા એએમસીના ગાર્ડન ઈન્સ્પેક્ટર પર એક યુવકે જાહેરમાં હુમલો કરી માર માર્યો હતો. પોલીસે બંને કિસ્સામાં ભોગ બનનારની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી છે. લંડનમાં સ્થાયી થયેલા પતિનો પત્ની પર અમાનવીય ત્રાસબોડકદેવ વિસ્તારમાં રહેતી અને સ્કૂલમાં ડિજિટલ માર્કેટિંગ મેનેજર તરીકે ફરજ બજાવતી 33 વર્ષીય મહિલાએ તેના પતિ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2011માં જીમમાં મિત્રતા થયા બાદ બંનેએ 2015માં લગ્ન કર્યા હતા અને ત્યારબાદ તેઓ લંડન શિફ્ટ થયા હતા. જોકે, ત્યાં પહોંચ્યા પછી પતિએ પિયરમાંથી પૈસા મંગાવવા દબાણ કરી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. લંડનમાં મકાન ખરીદતી વખતે પત્નીનું નામ રાખવા બાબતે પણ ઝઘડો કરી મારઝૂડ કરવામાં આવી હતી. અત્યાચારની હદ ત્યારે વટાવી જ્યારે મહિલા ગર્ભવતી હતી, ત્યારે પતિએ તેના પેટ પર લાત મારી અબોર્શન કરાવવા પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, છૂટાછેડા આપે તો જ ભારત પરત જવા દેવાની ધમકી પણ આપી હતી. આખરે તક મળતા મહિલા તેના ચાર વર્ષના પુત્ર સાથે પિયર પરત આવી હતી અને હવે પતિ સામે કાયદેસરનો ગુનો નોંધાવ્યો છે. લો-ગાર્ડન ખાતે ફરજ પરના ઈન્સ્પેક્ટર સાથે ગેરવર્તન અને હુમલોબીજી ઘટનામાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગમાં ટેકનિકલ સુપરવાઈઝર અને ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ભરત રાઠોડ પર હુમલો થયો છે. ગઈકાલે સવારે જ્યારે તેઓ લો-ગાર્ડન ખાતે ડેપ્યુટી કમિશનરના રાઉન્ડ પહેલા સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા હતા, ત્યારે અમીરાજ પટેલ નામનો શખ્સ ત્યાં આવ્યો હતો. ગાર્ડનમાં પડેલા કચરા બાબતે અમીરાજે ઉશ્કેરાઈને ભરતભાઈને કહ્યું હતું કે, તું સરકારનો નોકર છે, તારે બહુ બોલવાનું નહીં. આ દરમિયાન અમીરાજે જાહેરમાં ગાર્ડન ઈન્સ્પેક્ટરને લાફા અને ફેંટો મારી હતી તેમજ કોન્ટ્રાક્ટર હર્ષ પટેલને પણ ધક્કે ચડાવ્યો હતો. આ હુમલા બાદ ભરત રાઠોડે નવરંગપુરા પોલીસ મથકે અમીરાજ પટેલ વિરુદ્ધ શારીરિક ઈજા અને ફરજમાં રુકાવટ અંગે ફરિયાદ નોંધાવી છે.
વડોદરા ગ્રામ્ય પોલીસની સાવલી પોલીસ સ્ટેશનની ટીમે બે બાઈક ચોરીના બે અનડિટેક્ટ ગુનાઓને ડિટેક્ટ કર્યા છે. પોલીસે આ કેસમાં બે આરોપીઓને ઝડપી લીધા છે અને તેમની પાસેથી મુદ્દામાલ પણ રિકવર કર્યો છે. આ મામલે પોલીસ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બંને ચોર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવીસાવલી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કે જે ચૌહાણ અને ટીમે બાતમીના આધારે શંકાસ્પદ લાગતા બંને આરોપીઓને ઝડપી પૂછપરછ કરી ત્યારે તેઓએ ગુનાઓની કબૂલાત આપી હતી. સાવલી પોલીસ મથકમાં આ મામલે બે અલગ-અલગ ફરિયાદ નોધાઈ હતી જેમાં આ બંને ચોર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બે બાઈક કબજે લેવામાં આવીઆ કાર્યવાહીમાં ઝડપાયેલ આરોપી ફિરોજભાઈ ઈસુબભાઈ મલેક ( ઉંમર 30 વર્ષ, રહે. વાંકાનેર, તા. સાવલી, જિ. વડોદરા) અને સલીમભાઈ ઈબ્રાહીમભાઈ મલેક (ઉંમર 38 વર્ષ , રહે. વાંકાનેર, તા. સાવલી, જિ. વડોદરા)ને ઝડપી બે બાઈક કબજે લેવામાં આવી છે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં જિલ્લા પંચાયત ચૂંટણી માટે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયાના ચોથા દિવસે આમ આદમી પાર્ટી (AAP) એ પાંચમાંથી ચાર બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારીને ચૂંટણી જંગમાં પહેલો દાવ ખેલ્યો છે. જોકે, ભાજપ અને કોંગ્રેસે હજુ સુધી એક પણ ઉમેદવારી પત્ર રજૂ કર્યું નથી. AAP દ્વારા વેરાવળ તાલુકાની જિલ્લા પંચાયતની ભાલપરા (બેઠક નં. 5), ડારી (બેઠક નં. 7), ગોવિંદપરા (બેઠક નં. 15) અને નાવદ્રા (બેઠક નં. 21) બેઠકો પર ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા છે. ભાલપરા બેઠક પરથી કિશનભાઈ હાજાભાઈ ચાંડપા, ડારી બેઠક પરથી એજાજ એહમદ દરજાદા, ગોવિંદપરા બેઠક પરથી રામભાઈ જીણાભાઈ બામણીયા અને નાવદ્રા બેઠક પરથી ગીતાબેન રમેશભાઈ પાતળએ સત્તાવાર રીતે દાવેદારી નોંધાવી છે. આમ આદમી પાર્ટીના આ પગલાને સ્થાનિક રાજકારણમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય ટક્કર રહેતી આ બેઠકો પર આ વખતે ત્રીજો વિકલ્પ મજબૂતીથી ઉભો થતો દેખાઈ રહ્યો છે, જેના કારણે ચૂંટણીમાં ત્રિકોણીય જંગની સંભાવનાઓ પ્રબળ બની છે. ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા ચાલી રહી હોવા છતાં, ભાજપ અને કોંગ્રેસ દ્વારા અત્યાર સુધી એક પણ ઉમેદવારી પત્ર રજૂ ન થતા રાજકીય વર્તુળોમાં અનેક અટકળો વહેતી થઈ છે. ઉમેદવારોની પસંદગી, આંતરિક ગોઠવણો કે વ્યૂહાત્મક વિલંબ પાછળનું કારણ સ્પષ્ટ નથી, પરંતુ મુખ્ય પક્ષોની આ શાંતિ ચર્ચાનો વિષય બની છે. સ્થાનિક મતદારોમાં પણ ઉત્સુકતા વધી રહી છે કે ભાજપ અને કોંગ્રેસ કયા ચહેરાઓને મેદાનમાં ઉતારશે અને તેઓ AAP ના ઉમેદવારો સામે કેવી રણનીતિ અપનાવશે. આવનારા દિવસોમાં ઉમેદવારી પત્રોની અંતિમ તારીખ નજીક આવતા રાજકીય ગરમાવો વધુ તેજ બનશે તે નિશ્ચિત છે.
જૂનાગઢ મહાનગરપાલિકામાં 'ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા' જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા નવા રોડ રસ્તા ફરી ગટરના કામો માટે તોડવામાં આવી રહ્યા છે. શહેરના કડિયાવાડ વિસ્તારમાં ગટર અને રોડના કામમાં થયેલી ગંભીર ગેરરીતિઓ સામે આવતા સ્થાનિક રહીશોએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવી ઠાકર અને મહિલા કોર્પોરેટર ચંદ્રિકા રાખસીયાનો ભારે ઉધડો લીધો હતો. આશ્ચર્યજનક રીતે, આ વિસ્તારમાં ગટરના ભૂંગળાનો ઢાળ કુદરતી પ્રવાહથી વિરુદ્ધ એટલે કે નીચેથી ઉપર તરફ રાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોના આક્રોશ સામે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જાહેરમાં પોતાની ભૂલ સ્વીકારી હતી અને સ્વીકાર્યું હતું કે કામમાં ખામી રહી ગઈ છે. અધિકારીઓની આવડત અને એસી કેબિનમાં બેસી રહેતા પદાધિકારીઓની બેદરકારીને કારણે પ્રજાના પરસેવાની કમાણીના કરોડો રૂપિયા પાણીમાં જઈ રહ્યા છે, જેના કારણે આગામી ચોમાસામાં શહેર જળબંબોળ થવાની ભીતિ સેવાઈ રહી છે. જૂનાગઢ શહેરમાં હાલ વિકાસના નામે કરોડો રૂપિયાના આંધણ થઈ રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ કામોમાં આયોજનનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગટર લાઈન નાખ્યા બાદ રોડ બનાવવામાં આવે છે અને પછી ફરીથી તે જ રોડ તોડીને ગટરનું કામ કરવામાં આવે છે. આ પ્રકારની અંધેર વહીવટની નીતિ સામે આજે કડિયાવાડ વિસ્તારમાં લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવી ઠાકર અને કોર્પોરેટર ચંદ્રિકા રાખસીયા સ્થળ મુલાકાતે આવ્યા ત્યારે સ્થાનિકોએ તેમને સવાલોના ઘેરામાં લીધા હતા. ત્યારે આ કામમાં ભૂલ થઈ હોવાના કારણે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા રોડ ફરી તોડાશે. લોકોએ આક્ષેપ કર્યો હતો કે ગટરના કામમાં લોટ, પાણી અને લાકડા કરવામાં આવ્યા છે અને કોઈ પણ પ્રકારના એન્જિનિયરિંગ માપદંડ જળવાયા નથી. આ પરિસ્થિતિમાં જ્યારે પલ્લવી ઠાકરે પોતાના સાથી કોર્પોરેટરને પૂછ્યું કે શું ખરેખર ઊંધા ઢાળમાં કામ થયું છે, ત્યારે ચંદ્રિકાબેને પણ તે વાત સ્વીકારી હતી. આ ઘટના સાબિત કરે છે કે સત્તાધારી પક્ષના પદાધિકારીઓને પોતાના જ મતવિસ્તારમાં શું કામગીરી થઈ રહી છે તેની પણ ખબર નથી અને તેઓ માત્ર કાગળ પર સહીઓ કરી રહ્યા છે. સ્થાનિક રહીશો અને પદાધિકારીઓ વચ્ચે થયેલા તીખા સંવાદમાં ચોંકાવનારી બાબતો સામે આવી હતી. એક જાગૃત નાગરિકે જ્યારે ચેરમેનને પૂછ્યું કે પાણી ઉપરથી નીચે આવે કે નીચેથી ઉપર જાય, ત્યારે ચેરમેને સ્વાભાવિક રીતે જવાબ આપ્યો કે ઉપરથી નીચે આવે. આ જવાબ બાદ નાગરિકે જ્યારે ખુલાસો કર્યો કે કોન્ટ્રાક્ટરે ગટરના ભૂંગળાનું ફિટિંગ નીચેથી ઉપર તરફ કર્યું છે, ત્યારે ચેરમેન નિરુત્તર થઈ ગયા હતા. લોકોએ રોષે ભરાઈને કહ્યું હતું કે એન્જિનિયરોને કોઈ ગતાગમ નથી કે ઢાળ કઈ રીતે આપવો. પબ્લિકની સુવિધા માટે બનાવવામાં આવેલા રોડ એટલા ઊંચા કરી દેવામાં આવ્યા છે કે લોકોની ડેલીઓ અને ઘરો અંદર દબાઈ ગયા છે. માધવ નિવાસ જેવા વિસ્તારોમાં લેવલિંગ વગર કામ થતા લોકો માટે પોતાના ઘરમાં જવું પણ મુશ્કેલ બન્યું છે. આ તમામ બાબતો પરથી સ્પષ્ટ થાય છે કે કોર્પોરેશનના વોટર વર્કસ શાખાના અધિકારી અલ્પેશ ચાવડા અને અન્ય તકનીકી સ્ટાફની લાલયાવડી છતી થઈ છે.ત્યારે આ સમગ્ર બાબત પરથી જુનાગઢ મહાનગરપાલિકાની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. ચર્ચા દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સ્થાનિકોના પ્રશ્નોથી બચવા લોકોને એમ પણ કહ્યું હતું કે અમે તો પ્રયત્ન કરીએ છીએ કે તમને તકલીફ ન પડે, પરંતુ લોકોએ વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે એક પણ કામ એવું નથી જેમાં પ્રજાને હેરાન ન થવું પડતું હોય. પલ્લવી ઠાકરે એવું પણ નિવેદન આપ્યું હતું કે જ્યારે ગ્રાન્ટ ફાળવાય અને ઓર્ડર થાય ત્યારે જ કામ થાય, પરંતુ લોકોએ સવાલ કર્યો હતો કે જો કામ જ મોડું અને ખામીયુક્ત થતું હોય તો એવી ગ્રાન્ટનો શું અર્થ ? ચેરમેને પોતાની ભૂલ સ્વીકારતા જણાવ્યું હતું કે આ કામમાં ભૂલ થઈ છે અને તેઓ હમણાં જ એન્જિનિયરને બોલાવીને આ રસ્તો તોડી ફરીથી કરાવશે. જોકે, પ્રશ્ન એ થાય છે કે એક વાર પ્રજાના ટેક્સના પૈસા વપરાઈ ગયા બાદ ફરીથી તોડફોડ કરવાથી જે નુકસાન થાય છે તેની જવાબદારી કોની રહેશે ? કોર્પોરેટર ચંદ્રિકા રાખસીયાએ પણ કબૂલ્યું હતું કે ઊભા રોડમાં પણ ઘણી ફરિયાદો મળી છે અને તેઓ પોતે જ તે જોવા માટે આવ્યા છે. સ્થાનિકોએ કોન્ટ્રાક્ટરોની મનમાની વિશે પણ ફરિયાદ કરી હતી કે સવારે જ્યારે માલ ઢીલો હોવાની વાત કરવામાં આવી ત્યારે પણ કોન્ટ્રાક્ટરે ધ્યાન આપ્યું નહોતું. જૂનાગઢમાં જે પ્રકારે ગટર અને રોડના કામમાં લોલમલોલ ચાલી રહ્યું છે તે જોતા આગામી ચોમાસામાં શહેરની ગટર લાઈનો ઉભરાશે અને રસ્તાઓ બેસી જશે તેવી પૂરેપૂરી શક્યતા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા જાહેરમાં ભૂલનો સ્વીકાર કરવો એ તો માત્ર એક કિસ્સો છે. પરંતુ સમગ્ર શહેરમાં આ જ પ્રકારની નબળી કામગીરી થઈ રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. અધિકારીઓ અને પદાધિકારીઓની મિલીભગતને કારણે કોન્ટ્રાક્ટરો બેફામ બન્યા છે અને પ્રજાની સુખાકારીના નામે માત્ર આંકડાકીય માયાજાળ રચી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાનું ચિત્ર સ્પષ્ટ જણાય છે. આ ઘટના બાદ હવે જોવાનું એ રહેશે કે જૂનાગઢ મહાનગરપાલિકા ખરેખર કોઈ નક્કર પગલાં લે છે કે પછી માત્ર વાતોના વડા કરીને ભીનું સંકેલી લેવામાં આવે છે. જ્યારે સમગ્ર મામલા પરથી તો લાગી રહ્યું છે કે જુનાગઢ હવે મહાનગરપાલિકાના નહીં પરંતુ ગિરનારીના ભરોસે છે. કારણકે કરોડો રૂપિયાના કામ માત્ર કાગળ પર અને સુવિધા શૂન્ય જોવા મળી રહી છે.
સુરતના સારોલી વિસ્તારમાં નજીવી બાબતે કાયદો હાથમાં લેનારા શખસો સામે પોલીસે લાલ આંખ કરી છે. અકસ્માત બાદ પતિને બચાવવા ગયેલા પત્ની અને માસૂમ પુત્ર પર હુમલો કરનાર ત્રણ શખ્સોને પોલીસે ઘટનાસ્થળે લઈ જઈ પાઠ ભણાવ્યો હતો. અકસ્માત બાદ સર્જાયો હતો હિંસક માહોલઘટનાની વિગત મુજબ, ગત રાત્રે છેડછા ગામ રોડ પર લક્ષ્મી ટ્રાન્સપોર્ટ નગર સામે પિનાંકભાઈ પટેલની i-20 કાર અને એક બોલેરો પિકઅપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બોલેરોમાં સવાર શખ્સોએ ઉશ્કેરાઈને પિનાંકભાઈ પર લાકડીઓ અને પથ્થરો વડે હુમલો કર્યો હતો. જ્યારે પિનાંકભાઈના પત્ની પાયલબેન અને તેમનો 12 વર્ષનો પુત્ર તેમને બચાવવા વચ્ચે પડ્યા, ત્યારે હુમલાખોરોએ પત્નીનો હાથ મરોડી નાખ્યો હતો અને બાળક સાથે પણ ગેરવર્તણૂક કરી હતી. આટલેથી ન અટકતા, આરોપીઓએ પથ્થરમારો કરી કારના તમામ કાચ તોડી નાખ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યુંપાયલબેન પટેલની ફરિયાદના આધારે સારોલી પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓમાં ભાવીન ઉર્ફે ભાઉ રાણા, મુકેશ ભરવાડ અને કાનજી ઉર્ફે કાનો ભરવાડનો સમાવેશ થાય છે. આજે પોલીસે આ ત્રણેય આરોપીઓને તે જ સ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું જ્યાં તેમણે હુમલો કર્યો હતો. આ દરમિયાન આરોપીઓએ જાહેરમાં કાન પકડીને ઉઠક-બેઠક કરી પોતાની ભૂલ સ્વીકારી હતી. ઇજાગ્રસ્તની હાલત અને આગળની તપાસહુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા પિનાંકભાઈ હાલ ચલથાણની સંજીવની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે આ મામલે અન્ય આરોપીઓની શોધખોળ અને કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે. જાહેરમાં આરોપીઓને પાઠ ભણાવતી પોલીસની આ કામગીરીની સ્થાનિકોમાં પ્રશંસા થઈ રહી છે.
ભરૂચના ઝાડેશ્વર ચોકડી પાસે મુખ્ય માર્ગને અડીને પસાર થતી મીઠા પાણીની પાઈપલાઈન ગઈકાલે રાત્રે તૂટી ગઈ હતી. આ ઘટનાને કારણે લાખો લીટર પીવાનું પાણી વેડફાઈ ગયું હતું અને આસપાસના ખેતરો તેમજ પાર્કિંગ વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. ઝોનોર તરફથી આવતી આ મુખ્ય લાઈનમાં અચાનક ભંગાણ સર્જાતા પાણીનો પ્રવાહ શરૂ થયો હતો. ભર ઉનાળાની ગરમીમાં જ્યાં લોકોને પીવાના પાણીની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યાં આવી રીતે કિંમતી પાણીનો વ્યાપક બગાડ થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ, સ્થાનિક લારીધારકો અને રહીશોએ થોડા દિવસો અગાઉ આ પાઈપલાઈનમાં સંભવિત ખામી અંગે તંત્રને રજૂઆત કરી હતી. તેમ છતાં સમયસર કોઈ કાર્યવાહી ન થતા આખરે આ ઘટના બની હોવાનું લોકો જણાવી રહ્યા છે. તંત્રની આ બેદરકારીને કારણે લાખો લીટર પાણીનો બગાડ થયો છે. ઘટનાની જાણ થતા જ સંબંધિત વિભાગ દ્વારા પાઈપલાઈનના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ચોટીલાના ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ 2026ની નગરપાલિકા સામાન્ય ચૂંટણીની તૈયારીના ભાગરૂપે શહેરના 6 વોર્ડ હેઠળના તમામ મતદાન મથકોની સ્થળ પર જઈને વિગતવાર ચકાસણી કરી હતી. આ નિરીક્ષણ દરમિયાન, તેમણે દરેક મતદાન મથકે વીજ પુરવઠો, પીવાના પાણીની વ્યવસ્થા, શૌચાલય, રેમ્પ અને વ્હીલચેર જેવી દિવ્યાંગમિત્ર સુવિધાઓની તપાસ કરી હતી. ઉપરાંત, મતદાન મથક સુધી પહોંચવાની સુવિધા અને સુરક્ષા વ્યવસ્થા પણ ચકાસવામાં આવી હતી. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અપાયું હતું. મતદાન કર્મચારીઓ માટે બેસવાની યોગ્ય વ્યવસ્થા, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) માટે સુરક્ષિત જગ્યા અને મતદારો માટે રાહદારીઓની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા પારદર્શક, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026માં વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા વ્યાપક 'સ્વીપ' (SVEEP) ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ, સ્વીપ નોડલ અધિકારી અને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.ડી. જોષીના નેતૃત્વમાં, તમામ તાલુકા સ્વીપ ટીમો મતદારોને જાગૃત કરવા વિવિધ પ્રવૃત્તિઓ કરી રહી છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી ચૂંટણીમાં જિલ્લાના દરેક નાગરિકની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે. આ અંતર્ગત, જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને અચૂક મતદાન કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. શૈક્ષણિક સંસ્થાઓમાં વકૃત્વ અને ક્વિઝ સ્પર્ધાઓ યોજીને લોકશાહીના મૂલ્યો વિશે સમજૂતી આપવામાં આવી રહી છે. કોલેજોમાં યુવા મતદારોને લોકશાહીના આ પર્વમાં જોડાવા માટે વિશેષ પ્રેરણા આપવામાં આવી રહી છે, જેથી યુવાશક્તિ મતદાનમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી શકે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં અસરકારક પ્રચાર માટે સ્થાનિક માધ્યમોનો ઉપયોગ થઈ રહ્યો છે. દૂધ મંડળીઓમાં દૂધ ભરાવવા આવતા ગ્રાહકોને મતદાન માટે અપીલ કરાઈ રહી છે. નગરપાલિકાઓની ગાર્બેજ વાનમાં મતદાન જાગૃતિની ઓડિયો ક્લિપ વગાડીને જન-જન સુધી સંદેશ પહોંચાડવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સની મદદ લેવા સાથે બીએલઓ (BLO) અને શિક્ષકો દ્વારા ગામડાના વોટ્સએપ ગ્રુપમાં મતદાન જાગૃતિના ઓડિયો-વીડિયો શેર કરીને ડિજિટલ માધ્યમથી પણ પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. વયોવૃદ્ધ અને દિવ્યાંગ (PWD) મતદારોને મતદાન પ્રક્રિયામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે સ્વીપ ટીમ દ્વારા 'ડોર ટુ ડોર' સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આ મતદારોને મતદાન મથક પર પૂરી પાડવામાં આવનારી સુવિધાઓની ખાતરી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. વિવિધ સામાજિક સંગઠનોના આગેવાનો સાથે બેઠકો યોજીને તેમના જૂથના મતદારો અચૂક મતદાન કરે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રયાસો દ્વારા બનાસકાંઠા જિલ્લો મતદાનમાં અગ્રેસર રહે તેવો લક્ષ્ય છે.
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ના સ્થાપક કુલપતિ અને પદ્મશ્રીથી સન્માનિત ડૉ. જે.એમ. વ્યાસના ગૌરવમાં વધુ એક યશકલગી ઉમેરાઈ છે. સત્ય, ન્યાય અને વૈજ્ઞાનિક શ્રેષ્ઠતાના ક્ષેત્રમાં જીવનભરના સમર્પણ બદલ તેમને પુણેની પ્રતિષ્ઠિત MIT-ADT યુનિવર્સિટી દ્વારા લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. NFSU બનશે ફોરેન્સિકનું વૈશ્વિક કેન્દ્ર આ પ્રતિષ્ઠિત સન્માન સ્વીકારતા ડૉ. જે.એમ. વ્યાસે જણાવ્યું હતું કે, ફોરેન્સિક વિજ્ઞાન માત્ર ગુના ઉકેલવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે ન્યાય પ્રણાલી અને સમાજને મજબૂત બનાવવાનું સશક્ત માધ્યમ છે. તેમણે ઉમેર્યું કે, આ એવોર્ડ NFSUને ફોરેન્સિક શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે વિશ્વનું અગ્રણી કેન્દ્ર બનાવવા માટે નવી ઊર્જા અને પ્રેરણા પૂરી પાડશે. શિક્ષણ જગતમાં ગૌરવનો વ્યાપ ડૉ. જે.એમ. વ્યાસની આ સિદ્ધિ બદલ NFSU-ગાંધીનગરના કેમ્પસ ડિરેક્ટર પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારે અને એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર સી.ડી. જાડેજાએ તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. ડૉ. જુનારેએ જણાવ્યું હતું કે, આ આંતરરાષ્ટ્રીય સ્તરનું સન્માન ફોરેન્સિક વિજ્ઞાન અને ઉચ્ચ શિક્ષણમાં ડૉ. વ્યાસના નેતૃત્વને વધુ મજબૂત બનાવે છે. ભારતની અગ્રણી સંસ્થા MIT-ADT દ્વારા અપાયેલો આ એવોર્ડ એ વાતની સાબિતી છે કે ડૉ. વ્યાસના પ્રયાસોને કારણે જ આજે ભારત ફોરેન્સિક ક્ષેત્રે વૈશ્વિક સ્તરે નેતૃત્વ કરી રહ્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ NFSUએ શિક્ષણ અને સંશોધનમાં નવા આયામો સર કર્યા છે.
વિશ્વમાં શાંતિ, સૌહાર્દ અને સકારાત્મક ઊર્જાનો સંચાર કરવાના ઉમદા હેતુ સાથે ‘વ્રતો’ (VRATO) દ્વારા એક ભવ્ય આધ્યાત્મિક આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરમાં આજે માત્ર 27 મિનિટના ટૂંકા ગાળામાં 1.08 કરોડ નવકાર મંત્રના જાપ કરીને એક નવો ઇતિહાસ રચાયો છે. આ પવિત્ર અવસરમાં જૈન સમાજના શ્રાવક-શ્રાવિકાઓ, યુવાનો, મહિલાઓ અને વડીલોએ અત્યંત ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઘર-ઘર અને જિનાલયો બન્યા ભક્તિના કેન્દ્રઆ આયોજનની વિશેષતા એ હતી કે તે કોઈ એક ચોક્કસ સ્થળ પૂરતું મર્યાદિત ન રહેતા સમગ્ર શહેરમાં વ્યાપેલું હતું. અમદાવાદના વિવિધ જિનાલયો, ઘરો, સામાજિક કેન્દ્રો અને વિવિધ સંગઠનો દ્વારા એક જ સમયે સામૂહિક મંત્ર જાપ કરવામાં આવ્યા હતા. આ મંત્ર જાપ દ્વારા વાતાવરણમાં અભૂતપૂર્વ સકારાત્મકતા જોવા મળી હતી. વૈશ્વિક સ્તરે 2.5 કરોડ લોકોની સહભાગિતાવ્રતો દ્વારા આ આયોજન માત્ર અમદાવાદ પૂરતું સીમિત નહોતું, પરંતુ દેશ-વિદેશના કુલ 100 શહેરોમાં 25,000 થી વધુ સ્થળો પર એકસાથે યોજાયું હતું. આ વૈશ્વિક મહાકુંભમાં અંદાજે 2.5 કરોડ લોકો જોડાયા હતા. સમગ્ર દેશમાં એક જ સમયે કુલ 25 કરોડ નવકાર મંત્રનો જાપ કરવામાં આવ્યો હતો. દિલ્હીથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતશાહ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા અને તેમણે નવકાર મહામંત્રની મહાનતા અને તેની શક્તિ વિશે સમજૂતી આપી હતી. GMDC ઓડિટોરિયમ ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિઅમદાવાદમાં વ્રતો પરિવાર માટે GMDC ઓડિટોરિયમ ખાતે મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય કૌશિક જૈન, જૈન શાસનરત્ન શ્રીપાલભાઈ, દેવલ શેઠ, દીપક શેઠ, દીપક બારડોલીવાળા, ભાવેશઈ શાહ અને પીયૂષ જૈન જેવા વ્રતો સ્ટીયરિંગ કમિટીના સભ્યો અને અનેક જૈન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય કેવળ ધાર્મિક અનુષ્ઠાન જ નહીં, પરંતુ માનવ કલ્યાણ, અહિંસા અને આંતરિક શાંતિનો સંદેશ વિશ્વભરમાં પહોંચાડવાનો હતો.
ગોધરામાં બે જૂથ વચ્ચે ઝઘડો:પોલીસે શાંતિ ભંગ બદલ બંને પક્ષ સામે ગુનો નોંધ્યો
ગોધરાના ચર્ચ સર્કલ પાસે મંગળવારે રાત્રે બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને શાંતિ ભંગ બદલ બંને પક્ષો સામે ગુનો નોંધ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, 7 એપ્રિલના રોજ ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન રાત્રે તેમને ચર્ચ સર્કલ નજીક કેટલાક લોકો ઝઘડો કરી રહ્યા હોવાનો મેસેજ મળ્યો હતો. માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને તકરાર ચાલી રહી હતી. વધારાનો પોલીસ સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બંને પક્ષોને છૂટા પાડી પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે એક પક્ષમાં સોલંકી જય દિપકભાઈ, માધવભાઈ અશોકભાઈ વાધેલા અને તુષાર મનોજકુમાર વાધેલા સહિત 10થી વધુ લોકો સામેલ હતા. જ્યારે બીજા પક્ષમાં શેખ ઇમરાન અબ્દુલ્લા સહિત 15થી વધુ લોકો હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે બીવી ગાંધી પેટ્રોલ પંપ તરફથી આવતી વખતે મોપેડ અને કાર વચ્ચે સામાન્ય અથડામણ થઈ હતી, જેના કારણે બંને પક્ષો વચ્ચે ઝઘડો શરૂ થયો હતો અને તે ઉગ્ર બન્યો હતો. આ બનાવમાં જાહેર જગ્યાએ શાંતિ ભંગ થતા પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નવનિયુક્ત પ્રભારી સચિવ કે. એલ. બચાણીના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના વિકાસ કાર્યો અને વહીવટી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી. સમીક્ષા બેઠકમાં આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને 'પ્રી-મોનસૂન પ્રિપરેશન' પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. પ્રભારી સચિવે આપત્તિ વ્યવસ્થાપન (ડિઝાસ્ટર મેનેજમેન્ટ)ની કામગીરી વધુ સુદ્રઢ બનાવવા પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે, ચોમાસા દરમિયાન કોઈપણ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે ચોકસાઈપૂર્વકનું પૂર્વ આયોજન (માઈક્રો પ્લાનિંગ) કરવું જરૂરી છે. તમામ વિભાગોએ પરસ્પર ગાઢ સંકલન સાથે કામગીરી કરવા તેમણે માર્ગદર્શન આપ્યું, જેથી આપત્તિના સમયે નાગરિકોને ત્વરિત અને યોગ્ય મદદ પૂરી પાડી શકાય. પ્રભારી સચિવે સ્પષ્ટતા કરી કે, દેશ-દુનિયામાં ચાલતી કોઈપણ ગંભીર સ્થિતિ કે કટોકટીની પરિસ્થિતિની સીધી અસર જિલ્લાના નાગરિકો પર ન પડે તે માટે તંત્ર સજ્જ છે. તેમણે ખાતરી આપી કે મહીસાગર જિલ્લામાં હાલ એલ.પી.જી. (LPG) ગેસ સિલિન્ડરનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે નાગરિકોને રાંધણ ગેસની અછત ન સર્જાય અને છેવાડાના માનવી સુધી પુરવઠો રાબેતા મુજબ મળતો રહે તે સુનિશ્ચિત કરવા સચિવે વિભાગને સતર્ક રહેવા જણાવ્યું. વધુમાં, પ્રભારી સચિવે જિલ્લામાં પ્રગતિ હેઠળના વિવિધ કાર્યો પૈકી અગત્યના અને જનહિતના કામોને પ્રાથમિકતા આપી અગ્રતાના ધોરણે સત્વરે પૂર્ણ કરવા અધિકારીઓને દિશાનિર્દેશો આપ્યા. આ તકે તેમણે મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચલાવવામાં આવતા 'પ્રોજેક્ટ સહકાર'ની વિશેષ નોંધ લીધી હતી. તેઓ આ પ્રોજેક્ટની કામગીરીથી અત્યંત પ્રભાવિત થયા હતા અને વહીવટીતંત્રની સરાહના કરી હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લા કલેક્ટર અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, જિલ્લા પોલીસ અધિક્ષક શફીન હસન, નિવાસી અધિક કલેક્ટર સી. વી. લટા સહિત સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ બોર્ડ પરીક્ષામાં 5 કોપી કેસ ઝડપાયા:CCTV ફૂટેજની તપાસમાં ગેરરીતિ કરનારા વિદ્યાર્થીઓ પકડાયા
પંચમહાલ જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓમાં પાંચ કોપી કેસ સામે આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગેરરીતિ અટકાવવા લેવાયેલા કડક પગલાંના ભાગરૂપે આ કેસો પ્રકાશમાં આવ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પરીક્ષાઓના સુચારુ સંચાલન માટે કુલ 150 પરીક્ષા કેન્દ્રો પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ, પારદર્શિતા જાળવવા માટે આ તમામ કેન્દ્રોના તમામ દિવસોના CCTV ફૂટેજની નિષ્ણાતોની ટીમ દ્વારા ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. CCTV ફૂટેજની ચકાસણી દરમિયાન કુલ પાંચ વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા હતા. આ પૈકી ધોરણ 10માં ત્રણ અને ધોરણ 12 (સામાન્ય પ્રવાહ)માં બે કોપી કેસ નોંધાયા છે. ઝડપાયેલા આ તમામ પાંચેય કેસોને નિયમ મુજબ જિલ્લા પરીક્ષા સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. સમિતિની પ્રાથમિક સમીક્ષા બાદ, આ કેસો અંગે વધુ તપાસ અને શિક્ષાત્મક કાર્યવાહી માટેના તમામ રિપોર્ટ્સ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ખાતે મોકલી દેવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગની આ કડક કાર્યવાહીને કારણે પરીક્ષામાં ગેરરીતિ આચરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ પગલું આગામી સમયમાં શૈક્ષણિક શુદ્ધતા જાળવી રાખવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
સુરતના કરોડપતિ ટેક્સટાઈલ ઉદ્યોગને આર્થિક નુકસાન પહોંચાડતા ઠગબાજો સામે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે લાલ આંખ કરી છે. તાજેતરમાં યોજાયેલા 'સંવાદ સેતુ' કાર્યક્રમ બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે, જેના પરિણામે માત્ર બે જ દિવસમાં છેતરપિંડીના કુલ 16 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. આ કેસોમાં ₹2 લાખથી લઈને ₹2 કરોડ સુધીની ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું છે. ડીસીપી કાનન દેસાઈ SITના નવા હેડટેક્સટાઈલ ક્ષેત્રે વધતા ગુનાઓને રોકવા માટે રચાયેલી SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ના વડા તરીકે ડીસીપી કાનન દેસાઈની નિયુક્તિ કરવામાં આવી છે. અગાઉ આ પદ ડીસીપી ભગીરથ ગઢવી પાસે હતું, પરંતુ તેમની બદલી બાદ હવે કાનન દેસાઈ આ તપાસનું સુકાન સંભાળશે. 'સંવાદ સેતુ' કાર્યક્રમની સફળતાગત 6 એપ્રિલ 2026ના રોજ સલાબતપુરા ખાતે આયોજિત 'પોલીસ-વેપારી સંવાદ'માં 200થી વધુ વેપારીઓએ પોતાની વ્યથા ઠાલવી હતી. આ કાર્યક્રમ બાદ પોલીસને છેતરપિંડી અંગેની કુલ 45 થી 50 અરજીઓ પ્રાપ્ત થઈ હતી. પ્રાથમિક તપાસમાં ગુનાહિત કૃત્ય જણાતા 16 FIR તાત્કાલિક નોંધવામાં આવી છે. બાકીની 25 જેટલી અરજીઓ હાલ તપાસ હેઠળ છે, જેમાં આગામી દિવસોમાં ગુના નોંધાઈ શકે છે. 6 રાજ્યોમાં પોલીસનું સર્ચ ઓપરેશનસુરતના વેપારીઓને ચૂનો લગાવી ફરાર થઈ ગયેલા આરોપીઓને પકડવા માટે સુરત પોલીસની 6થી વધુ ટીમો દેશના વિવિધ રાજ્યોમાં રવાના થઈ છે. પોલીસ અત્યારે રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી-ગુડગાંવ અને પશ્ચિમ બંગાળ (કોલકાતા) માં ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓના લોકેશન ટ્રેસ કરી રહી છે. ઠગબાજો સામે 'પાસા' (PASA) ની તૈયારીડીસીપી કાનન દેસાઈએ જણાવ્યું હતું કે, “ચીટિંગ કરનાર ટોળકીઓ પહેલા વેપારીનો વિશ્વાસ કેળવી માલ પડાવી લેતી હોય છે. અત્યારે અમારી ટીમો અલગ-અલગ રાજ્યોમાં તપાસ કરી રહી છે. જે તત્વો કાપડ ઉદ્યોગને નુકસાન પહોંચાડી રહ્યા છે, તેમની સામે અમે પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.” પોલીસની આ આક્રમક કાર્યવાહીથી ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓમાં આશા જાગી છે કે તેમના ફસાયેલા નાણાં પરત મળી શકશે અને ભવિષ્યમાં આવી છેતરપિંડી પર બ્રેક લાગશે.
સાબરકાંઠા જિલ્લામાં યોજાનારી આઠ તાલુકા પંચાયત, ત્રણ નગરપાલિકા અને એક પાલિકાની પેટાચૂંટણી તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગુરુવાર સુધીમાં આઠ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકામાં કુલ 45 ઉમેદવારી પત્રો ભરાઈને પરત આવ્યા છે. જ્યારે છેલ્લા ચાર દિવસમાં તાલુકા પંચાયતની ચૂંટણી માટે 835 ઉમેદવારી પત્રોનું વિતરણ થયું છે. ચૂંટણી શાખાના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, હિંમતનગર, ખેડબ્રહ્મા, વિજયનગર, ઇડર, તલોદ, પ્રાંતિજ, વડાલી અને પોશીના તાલુકા પંચાયતની બેઠકો માટે 26 એપ્રિલે ચૂંટણી યોજાશે. 6 એપ્રિલથી 9 એપ્રિલ સુધીમાં 43 ઉમેદવારોએ 82 ઉમેદવારી પત્રો ભરીને સક્ષમ અધિકારી સમક્ષ રજૂ કર્યા છે. નગરપાલિકાઓની વાત કરીએ તો, હિંમતનગર નગરપાલિકાની 44 બેઠકો માટે ગુરુવારે 5 ઉમેદવારી પત્રો ભરાયા છે. ઇડર નગરપાલિકામાં 1 ઉમેદવારી પત્ર ભરાયું છે, જ્યારે વડાલી નગરપાલિકામાં ગુરુવાર સુધી એકપણ ઉમેદવારી પત્ર ભરાયું નથી. પ્રાંતિજ નગરપાલિકાની ખાલી પડેલી એક બેઠક માટે અત્યાર સુધીમાં 1 ઉમેદવારી પત્ર ભરાયું છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા શુક્રવારે પક્ષના મેન્ડેટની ફાળવણી થવાની શક્યતા છે. ત્યારબાદ સ્થાનિક કક્ષાએ 11 એપ્રિલ સુધીમાં ઉમેદવારી પત્રો ભરાઈ જશે, જે અંતિમ તારીખ છે. અપક્ષો અને માન્ય પક્ષોના ઉમેદવારો આ સમયગાળામાં ઉમેદવારી પત્રો ભરવાની કામગીરી પૂર્ણ કરશે. સાબરકાંઠા જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે પણ નગરપાલિકાઓ અને આઠ તાલુકા પંચાયતોની ચૂંટણી સાથે જ મતદાન થવાનું છે. ગુરુવારે 16 અને તે પહેલા 7 એપ્રિલે 1 મળીને અત્યાર સુધીમાં કુલ 17 ઉમેદવારી પત્રો ભરાયા છે. જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા માટે અત્યાર સુધીમાં 250 ફોર્મનું વિતરણ થઈ ચૂક્યું છે.
ગોધરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે EVM મશીનો લઈ જતું એક કન્ટેનર સરકારી પોલિટેકનિક કોલેજના ગેટ પાસે ઝાડ અને ગેટ વચ્ચે ફસાઈ ગયું હતું. આ ઘટનાને કારણે લગભગ એક કલાક સુધી કામગીરી અટકી પડી હતી. આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે ફાળવવામાં આવેલા 544 EVM મશીનો જિલ્લા કલેક્ટર કચેરી સંકુલમાં આવેલા સ્ટ્રોંગ રૂમમાંથી પોલીસ બંદોબસ્ત સાથે વિતરણ માટે પોલિટેકનિક કોલેજ લાવવામાં આવી રહ્યા હતા. કોલેજના મુખ્ય ગેટ પાસે કન્ટેનરની ઊંચાઈ વધુ હોવાથી તે ગેટને અડી ગયું હતું. આથી ચાલકે તેને અન્ય ગેટ પરથી પસાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. બીજા ગેટ પાસે માર્ગ પર આવેલા ઝાંપાને અડીને એક મોટા ઝાડની ડાળીઓ સાથે કન્ટેનર ફસાઈ ગયું હતું. આ ઘટનાને કારણે વાહન વ્યવહાર અને EVM ઉતારવાની કામગીરી અટકી પડી હતી. ઘટનાની જાણ થતાં જ MGVCL (મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ) ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. MGVCL ટીમે વીજ લાઈનોને નુકસાન ન થાય તે રીતે સાવચેતી રાખીને કટર મશીન વડે ઝાડની ડાળીઓ કાપવાની કામગીરી હાથ ધરી હતી. આશરે એક કલાકની ભારે જહેમત બાદ ઝાડનો અવરોધ દૂર કરવામાં આવ્યો હતો. માર્ગ મોકળો થતાં કન્ટેનરને સુરક્ષિત રીતે પસાર કરી કોલેજ પરિસરમાં લાવવામાં આવ્યું હતું.
વડોદરામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા તેજ બની છે, જે અંતર્ગત કલેક્ટર કચેરી દ્વારા જિલ્લા, તાલુકા, નગરપાલિકા અને મહાનગરપાલિકા માટે કુલ 3,826 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 11 એપ્રિલ હોવાથી આગામી બે દિવસમાં તમામ પક્ષોના ઉમેદવારો ફોર્મ સુપરત કરશે. મહાનગરપાલિકામાં 939 ફોર્મનું વિતરણવડોદરા મહાનગરપાલિકા માટે અત્યાર સુધીમાં 939 ફોર્મનું વિતરણ થયું છે, જેની સામે માત્ર 8 ઉમેદવારોએ જ પોતાના ફોર્મ ભરીને સુપરત કર્યા છે. આ 8 ફોર્મ પૈકી 7 ફોર્મ આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ભર્યા છે, જેમાં વોર્ડ-18ના ઉમેદવારનો પણ સમાવેશ થાય છે. ભાજપ અને કોંગ્રેસના મોટાભાગના ઉમેદવારોની સત્તાવાર યાદી હજુ જાહેર થવાની બાકી હોવાથી આ પક્ષોના મુખ્ય ચહેરાઓએ હજુ ઉમેદવારી નોંધાવી નથી. કોંગ્રેસે 18 ઉમેદવારોના નામ જાહેર કર્યાપક્ષોની સ્થિતિ વિશે વાત કરીએ તો, આમ આદમી પાર્ટીએ મોટાભાગના નામો જાહેર કરી દીધા છે, જ્યારે કોંગ્રેસે હાલ 18 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. બીજી તરફ, ભાજપ દ્વારા હજુ સત્તાવાર યાદીની રાહ જોવાઈ રહી છે. જોકે, પક્ષ દ્વારા જે ઉમેદવારોના નામ નક્કી મનાય છે, તેમને ફોન કરીને એફિડેવિટ સહિતના તમામ ડોક્યુમેન્ટ્સ અગાઉથી તૈયાર રાખવાની મૌખિક સૂચનાઓ આપી દેવામાં આવી છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ11 એપ્રિલે ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ થયા બાદ તંત્ર દ્વારા ફોર્મની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. હાલમાં કેટલાક સંભવિત ઉમેદવારો પક્ષના આદેશની રાહ જોઈ રહ્યા છે, તો કેટલાક જેમના નામ નિશ્ચિત જણાય છે તેઓએ પોતાની રીતે ફોર્મ મંગાવીને ભરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ક્યાં કેટલા ફોર્મનું વિતરણ અને કેટલા ભરાયા
Kerala, Assam and Puducherry Assembly Election 2026 : આસામ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં આજે વિધાનસભા ચૂંટણી માટે એક જ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલી આ પ્રક્રિયામાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાંજે 5 વાગ્યા સુધીના આંકડા મુજબ આસામમાં સૌથી વધુ 84.42%, પુડુચેરીમાં 86.92% અને કેરળમાં 75.01% મતદાન નોંધાયું છે.
સુરેન્દ્રનગર પોલીસે નેત્રમ પ્રોજેક્ટ હેઠળ તેરા તુજકો અર્પણ અભિયાન ચલાવી ખોવાયેલી કિંમતી ચીજવસ્તુઓ મૂળ માલિકોને પરત કરી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ જાહેર જનતાની સોના-ચાંદીના દાગીના, રોકડ રૂપિયા, પર્સ જેવી ખોવાયેલી કે ગુમ થયેલી વસ્તુઓને સીસીટીવીની મદદથી શોધીને પરત કરવાનો છે. તાજેતરમાં, 7 એપ્રિલ, 2026ના રોજ, સુરેન્દ્રનગરના ફીરદોષ સોસાયટીના રહેવાસી જૈમિનિબેન દુદાભાઈ પતરાવાળી ચોક પાસેથી રિક્ષામાં બેઠા હતા અને તેમનો રૂ. 4,000નો સામાન ભરેલો બેગ રિક્ષામાં ભૂલી ગયા હતા. તેમણે નેત્રમ ખાતે જાણ કરતા, સીસીટીવી કેમેરાની મદદથી રિક્ષા નંબર GJ-23-AU-3996 ઓળખી કાઢવામાં આવ્યો. પોલીસે રિક્ષાચાલકનો સંપર્ક કરીને જૈમિનિબેનનો બેગ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનની મદદથી તેમને પરત કર્યો. આ કામગીરી પ્રશંસનીય રહી હતી. આ ઉપરાંત, 3 એપ્રિલ, 2026ના રોજ, સનફ્લાવર સ્કૂલ પાસેના રહેવાસી જીતુભાઇ જવાનજી ઠાકોર પણ સનફ્લાવર સ્કૂલ પાસેથી રિક્ષામાં બેઠા હતા અને તેમનો સામાન ભરેલો બેગ રિક્ષામાં ભૂલી ગયા હતા. તેમણે પણ નેત્રમ ખાતે જાણ કરી હતી. નેત્રમના સીસીટીવી કેમેરાની મદદથી તે જ રિક્ષા નંબર GJ-23-AU-3996 ઓળખી કાઢવામાં આવ્યો. રિક્ષાચાલકનો સંપર્ક કરીને જીતુભાઇ ઠાકોરનો બેગ પણ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનની મદદથી તેમને પરત કરવામાં આવ્યો. આ સમગ્ર કામગીરી સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક વેદિકા બિહાની, નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમારના માર્ગદર્શન હેઠળ અને નેત્રમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એલ. ઝેઝરીયાની સૂચનાથી કરવામાં આવી હતી.
ગુજરાત હાઇકોર્ટમાં સેવન્થ ડે શાળા દ્વારા ચીફ જજની બેંચ સમક્ષ અપીલ દાખલ કરવામાં આવી છે. જેમાં રજૂઆત કરવામાં આવી છે કે, સ્કૂલનું મેનેજમેન્ટ સરકારે પોતાના હસ્તક લીધું છે અને કોઈ પણ નવા વિદ્યાર્થીઓને એડમિશન અપાય રહ્યું નથી. DEO અત્યારે સ્કૂલનો વહીવટકર્તા છે. શિક્ષણ વિભાગના આ હુકમ ઉપર સ્ટે મૂકવા તેઓએ સિંગલ જજ સમક્ષ માંગ કરી હતી, જેને નકારી દેવાતા આ અરજી કરવામાં આવી છે. સ્કૂલને ખુલાસો આપવા માટે પૂરતો સમય ન અપાયાની રજૂઆતઅરજદારે જણાવ્યું હતું કે, સ્કૂલમાં એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીની હત્યા બાદ આ પ્રમાણેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, DEO એ નીમેલ તપાસ કમિટીનો અહેવાલ તેમને આપવામાં આવ્યો નથી. વર્ષ 1987થી આ માઈનોરીટી સ્કૂલ ચાલી રહી છે. સરકાર ફોજદારી જવાબદારી પણ સ્કૂલ પર નાખવા પ્રયત્ન કરી રહી છે. સ્કૂલને પોતાના તરફથી ખુલાસો આપવા માટે પણ પૂરતો સમય અપાયો નથી. અરજી પર વધુ સુનાવણી મે મહિનામાં રખાઈDEOની સલાહ પર શિક્ષણ વિભાગે ઉપરોક્ત ઠરાવ પસાર કર્યો છે પરંતુ, તેઓ માઈનોરીટી સંસ્થાનું મેનેજમેન્ટ હાથમાં લઈ શકે નહીં. વળી યોગ્ય કાર્યવાહી વગર પણ તેઓ આવા કોઈ પગલા ભરી શકે નહીં. સ્કૂલ તપાસમાં સહકાર આપી રહી છે. સિંગલ જજ સમક્ષ કરાયેલી અરજી પર વધુ સુનવણી મેં મહિનામાં રાખવામાં આવી છે. સરકાર સોમવારે હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરશેહાઇકોર્ટની ડબલ જજની બેંચે નોંધ્યું હતું કે, તપાસ કમિટીનો રિપોર્ટ સ્કૂલને અપાયો નથી. આ પ્રાથમિક રિપોર્ટ હોવા છતાં સ્કૂલને કોઈ શો-કોઝ નોટીસ અપાઇ નથી. સ્કૂલને રજૂઆતની પૂરતી તક આપ્યા વગર પગલાં લેવા તે કુદરતી નિયમોના સિદ્ધાંતનો ભંગ છે. જેથી, સ્કૂલને તપાસ કમિટીનો રિપોર્ટ સોંપવામાં આવશે કે કેમ, DEO એ જે સૂચનો શિક્ષણ વિભાગની કર્યા છે, તે સ્કૂલને આપવામાં આવશે કે કેમ અને તેમને સાંભળવાની તક આપવામાં આવશે કે કેમ તે અંગે સરકાર સોમવારે હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરશે.
ભાજપની પહેલી યાદી જાહેર:ખીરુ મોતમાં હત્યા કે આત્મહત્યાનો એંગલ, એક્ટિવા અને બસની ભયંકર ટક્કર
ભાજપને જાહેર કર્યું ઉમેદવારોનું પહેલું લિસ્ટ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપે ઉમદવારોનું પહેલું લિસ્ટ જાહેર કર્યું છે. તો આમ આદમી પાર્ટી નવમું લિસ્ટ જાહેર કર્યું છે. કોંગ્રેસની બીજી યાદી પણ આજે જાહેર થઈ શકે છે. આ સમાચાર વિસ્તારથી વાચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજુ કરપડાએ ભાજપનો ખેસ ધારણ કર્યો આપના પૂર્વ નેતા રાજુ કરપડા ભાજપમાં જોડાઈ ગયા છે. અગાઉ જ્યારે તેઓ AAPમાં હતા ત્યારે ડંફાસ મારતા હતા કે સૂરજ દાદા આથમણા ઉગશે ત્યારે ભાજપનો ખેસ પહેરીશ. હવે તેમનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાચવા અને વીડિયો જોવા ક્લિક કરો પૂર્વ IPS મનોજ નિનામા ભાજપમાં જોડાયા પૂર્વ IPS મનોજ નિનામા ભાજપમાં જોડાયા...શામળાજી ખાતે મંત્રી પી.સી બરંડાની હાજરીમાં તેમણે કેસરિયો ધારણ કર્યો.. આગામી 31 મેના રોજ તેઓ નિવૃત્ત થવાના હતા. પરંતુ એ પહેલાં જ તેમણે IG પદેથી રાજીનામું આપ્યું હતું. આ સમાચાર વિસ્તારથી વાચવા અને વીડિયો જોવા ક્લિક કરો રોડ-રસ્તા અને દારુડિયાના ત્રાસથી કંટાળી બેનર્સ લગાવ્યા રાજકોટમાં વોર્ડ.નં 1માં આવતી સોસાયટીના રહીશોએ રોડ-રસ્તા અને દારૂડિયાથી ત્રસ્ત લોકોએ રાજકીય પક્ષોને સોસાયટીમાં ન પ્રવેશવા બેનર લગાવ્યાં. એટલું જ નહીં‘દેશી દારૂની પોટલી અહીંયા મળે છે ના બેનર્સ પણ લગાવ્યા. આ સમાચાર વિસ્તારથી વાચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઢોસાના ખીરાથી મોત મામલે નવો ઘટસ્ફોટ અમદાવાદમાં ખીરાથી બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં નવો ઘટસ્ફોટ..માતા-પિતાના બ્લડમાંથી એલ્યુમિનિયમ ફોસ્ફેટ એટલે કે ઘઉંમાં નાખવાની દવાની હાજરી મળી.. બન્ને બાળકીઓમાં આ જ દવાની હાજરી છે કે નહીં તેની તપાસ ચાલુ છે. આ સમાચાર વિસ્તારથી વાચવા અને વીડિયો જોવા ક્લિક કરો સેવ ખમણી ખાવાથી 60 લોકોને ફૂડ પોઈઝનિંગ દેત્રોજ તાલુકાના રાજપુરા ગામમાં એક ધાર્મિક કાર્યક્રમમાં સેવ- ખમણી ખાધા પછી 60થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ. તમામ દર્દીઓને સારવાર માટે કડીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમાચાર વિસ્તારથી વાચવા અને વીડિયો જોવા ક્લિક કરો નશામાં કાર હંકારી ઘરની દિવાલ તોડી નાખી વડોદરાના અકોટા વિસ્તારમાં એક યુવકે ફૂલ સ્પીડમાં કાર ચલાવી મકાનની કમ્પાઉન્ડ તોડી નાખી..યુવક નશાની હાલતમાં હતો.. પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ સમાચાર વિસ્તારથી વાચવા અને વીડિયો જોવા ક્લિક કરો રોંગ સાઈડમાં જતા એક્ટિવાને બસે મારી ટક્કર અમદાવાદમાં શાહઆલમ ટોલનાકા પાસે રોંગ સાઈડમાં એક્ટિવા લઈને આવતી યુવતીઓ એએમટીએસ બસ સાથે ભટકાઈ. ઉપરથી ટાયર ફરતા-ફરતા સહેજમાં રહી ગયું.. અને યુવતીઓનો બચાવ થયો છે. આ સમાચાર વિસ્તારથી વાચવા અને વીડિયો જોવા ક્લિક કરો તિલક બાદ દક્ષિણા માગતા હોબાળો યાત્રાધામ ડાકોરમાં તિલક બાદ દક્ષિણા આપવા બાબતે હોબાળો થયો..શ્રદ્ધાળુ પરિવાર સાથે તિલક કરનારે અયોગ્ય વર્તન કર્યું હોવાનો આક્ષેપ કર્યો., મામલો ગરમાતા પોલીસે દરમિયાનગીરી કરવી પડી. આ સમાચાર વિસ્તારથી વાચવા અને વીડિયો જોવા ક્લિક કરો જામનગરના આંગણે બોલિવુડ સ્ટાર્સનો જમાવડો જામનગરમાં ફરી એક વાર બોલિવુડ સ્ટાર્સનો જમાવડો.. 10 એપ્રિલે અનંત અંબાણીના બર્થ ડે સેલિબ્રેશનમાં ભાગ લેવા સેલેબ્સ પહોંચ્યા. જોગવડ ગામમાં આજે રાજભા ગઢવી અને સાઈરામ દવે લોકસાહિત્યની રમઝટ બોલાવશે. આ સમાચાર વિસ્તારથી વાચવા અને વીડિયો જોવા ક્લિક કરો
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આગામી મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીઓને પારદર્શક બનાવવા માટે રાજ્યભરમાં ચૂંટણી નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. આ નિરીક્ષકો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના તમામ જિલ્લાઓમાં ઉમેદવારી ફોર્મથી લઈ મતગણતરી સુધીની પ્રક્રિયા પર સીધી દેખરેખ રાખશે. ચૂંટણી પ્રક્રિયામાં કોઈ પણ ગેરરીતિ અટકાવવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ઉમેદવાર પસંદગી પ્રક્રિયા પર ખાસ નજર રાખવાની જવાબદારીઆયોગના આદેશ અનુસાર, નિયુક્ત કરાયેલા નિરીક્ષકોને પોતપોતાના નિર્ધારિત ક્ષેત્રોમાં મતદાન મથકોની વ્યવસ્થા, સુરક્ષા અને ઉમેદવાર પસંદગી પ્રક્રિયા પર ખાસ નજર રાખવાની જવાબદારી સોંપાઈ છે. જો કોઈ અનિયમિતતા જણાય તો તેમણે તાત્કાલિક રાજ્ય ચૂંટણી આયોગને રિપોર્ટ કરવાનો રહેશે. આ કામગીરીને સુદ્રઢ બનાવવા માટે નિરીક્ષકોએ સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ સાથે સતત સંકલનમાં રહીને કામ કરવાનું રહેશે. તાલીમમાં તમામ નિરીક્ષકોની હાજરી ફરજિયાતચૂંટણી નિરીક્ષકોની કાર્યક્ષમતા વધારવા માટે આગામી 10 એપ્રિલના રોજ ગાંધીનગર ખાતે એક વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાશે. આ તાલીમમાં તમામ નિરીક્ષકોની હાજરી ફરજિયાત રાખવામાં આવી છે, જ્યાં તેમને ચૂંટણી સંબંધિત નિયમો, ફરજો અને આયોગની માર્ગદર્શિકા વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવશે. આ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ વધુ નિષ્પક્ષ, પારદર્શક અને સુચારુ રીતે સંપન્ન કરાવવાનો છે.
ભરૂચમાં SOGએ 24.95 ગ્રામ સિન્થેટિક ડ્રગ્સ ઝડપ્યું:'NO DRUGS' અભિયાન હેઠળ એક આરોપીની ધરપકડ
ભરૂચ જિલ્લામાં NO DRUGS IN BHARUCH અભિયાન અંતર્ગત પોલીસની કાર્યવાહી વધુ સઘન બની રહી છે. આ અભિયાન હેઠળ સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) ટીમે 24.95 ગ્રામ સિન્થેટિક ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. એસઓજી સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે, જોલવા ગામથી ભરૂચ રેલવે સ્ટેશન તરફ જઈ રહેલા એક શંકાસ્પદ ઈસમ પર વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બિહારના રહેવાસી અભિનંદનકુમાર વિજય રામદેવ ચૌબે નામના વ્યક્તિને ઝડપી લીધો હતો. આરોપીની તલાશી લેતા તેની પાસેથી આશરે 24.95 ગ્રામ નાર્કોટિક્સ સિન્થેટિક ડ્રગ્સ મળી આવ્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે, તે આ માદક પદાર્થ 'ફૈસલ' નામના વ્યક્તિ પાસેથી ખરીદીને ભરૂચ શહેરમાં છૂટક વેચાણ કરવા માટે લઈ જઈ રહ્યો હતો. પોલીસે આ કાર્યવાહી દરમિયાન એક મોટરસાયકલ અને એક મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 20,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ભરૂચ શહેર 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરતના વરાછા વિસ્તારમાં રહેતી એક સગીરાને લલચાવી-ફોસલાવી અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં વરાછા પોલીસે ગણતરીના દિવસોમાં આરોપી અલ્પેશ ગોહિલને ઝડપી પાડ્યો છે. ગત 21 ફેબ્રુઆરીના રોજ નોંધાયેલી ગુમશુદગીની ફરિયાદના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને તેના વતનથી દબોચી લઈ સગીરાને સુરક્ષિત મુક્ત કરાવી હતી. ફરિયાદીની પુત્રીને અજાણ્યો શખ્સ ભગાડી ગયોઘટનાની વિગતો મુજબ, વરાછા પોલીસ મથકે સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી કે તેમની પુત્રીને કોઈ અજાણ્યો શખ્સ બદકામ કરવાના ઈરાદે ભગાડી ગયો છે. આ ગંભીર મામલાની તપાસ માટે એસીપી પી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ વરાછા પી.આઈ.ની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સનો સહારો લીધો હતો. તપાસ દરમિયાન પોલીસને સફળતા મળી હતી અને આરોપીનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું. સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કર્યુંઝડપાયેલો આરોપી અલ્પેશ મધુભાઈ ગોહિલ મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના રૂપાવટી ગામનો વતની છે. તે સુરતમાં વરાછાના ઘનશ્યામનગરમાં રહીને રત્નકલાકાર તરીકે વ્યવસાય કરતો હતો. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે તેણે સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેની પર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ આરોપીના રિમાન્ડ મેળવ્યાપોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની અપહરણની કલમો તેમજ પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસ આરોપીના રિમાન્ડ મેળવી આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે, જ્યારે સગીરાને સુરક્ષિત રીતે તેના પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ચોંકાવનારી સ્થિતિ સામે આવી છે. રાજ્યના આશરે 1.72 લાખ પ્રાથમિક શિક્ષકોને સમયસર પગાર ન મળતા વ્યાપક અસંતોષ ફેલાયો છે. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ – ગુજરાત દ્વારા શિક્ષણ સચિવને પાઠવેલા પત્રમાં આ ગંભીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે અને તાત્કાલિક પગાર ગ્રાન્ટ ફાળવવાની માંગ કરવામાં આવી છે. મહાસંઘે જણાવ્યું છે કે નવા નાણાકીય વર્ષ શરૂ થયા બાદ પણ તા. 8 એપ્રિલ 2026 સુધી રાજ્ય કક્ષાએથી અનેક જિલ્લાઓમાં પગાર માટેની ગ્રાન્ટ જ ફાળવવામાં આવી નથી. જેના કારણે જિલ્લાઓમાં શિક્ષકોને માર્ચ બાદનો પગાર મળ્યો નથી. પરિણામે 1.72 લાખ જેટલા શિક્ષકો સીધા આર્થિક સંકટમાં ધકેલાયા છે. શિક્ષકોને ઘર ચલાવવામાં મુશ્કેલીપગાર ન મળવાના કારણે શિક્ષકોને ઘર ચલાવવા મુશ્કેલી પડી રહી છે. બાળકોના અભ્યાસ, લોનની EMI, દૈનિક જરૂરિયાતો સહિતના ખર્ચા પૂરા કરવામાં મુશ્કેલી ઊભી થઈ છે. કેટલીક જગ્યાએ શિક્ષકોને ઉધાર લઈ જીવન નિર્વાહ કરવો પડી રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે. મનોબળ અને કાર્યક્ષમતા પર સીધી અસર મહાસંઘે ચિંતા વ્યક્ત કરી છે કે શિક્ષકો શિક્ષણ વ્યવસ્થાના મુખ્ય આધારસ્તંભ છે, છતાં તેઓને સમયસર વેતન ન મળવાથી તેમના મનોબળ અને કાર્યક્ષમતા પર સીધી અસર પડી રહી છે. આવી પરિસ્થિતિ ચાલુ રહેશે તો શિક્ષણની ગુણવત્તા પર પણ નકારાત્મક અસર પડી શકે છે. મહાસંઘે રાજ્ય સરકારને માંગ કરી છે કે તમામ જિલ્લાઓમાં બાકી રહેલી પગાર ગ્રાન્ટ તાત્કાલિક ફાળવવામાં આવે અને શિક્ષકોને તરત જ પગાર ચૂકવવામાં આવે. સાથે સાથે ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે જિલ્લાઓને એડવાન્સ ગ્રાન્ટ આપવાની સ્થાયી વ્યવસ્થા કરવામાં આવે.
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
પાટણ પાલિકાની ચૂંટણી: બે ઉમેદવારોએ ત્રણ ફોર્મ ભર્યા:ચાર દિવસમાં 225 ફોર્મનું વિતરણ, 26 એપ્રિલે મતદાન
પાટણ નગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. છેલ્લા ચાર દિવસમાં કુલ 225 ઉમેદવારી ફોર્મનું વિતરણ થયું છે. અત્યાર સુધીમાં બે ઉમેદવારો દ્વારા ત્રણ ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે. નગરપાલિકાની ચૂંટણી આગામી 26 એપ્રિલના રોજ યોજાવાની છે. ચૂંટણી અધિકારીને રજૂ કરાયેલા ત્રણ ફોર્મ પૈકી, વોર્ડ નંબર 9માંથી અપક્ષ ઉમેદવાર નરેશ દવેએ બે ફોર્મ ભર્યા છે. જ્યારે વોર્ડ નંબર 3 માંથી ઉમેદવાર મીનાક્ષીબેન રવિકુમાર ઝાલાએ એક ફોર્મ ભર્યું છે. પાટણ પ્રાંત કચેરી ખાતે ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો માટે 6 એપ્રિલથી ફોર્મ વિતરણ અને સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી માટે અલગથી સ્ટાફ પણ ફાળવવામાં આવ્યો છે. પ્રથમ દિવસથી જ ઉમેદવારી ફોર્મ લેવા માટે લોકોનો ધસારો જોવા મળ્યો હતો. ઉમેદવારી ફોર્મ જમા કરાવવાની અંતિમ તારીખ 11 એપ્રિલ છે. ત્યારબાદ 26 એપ્રિલના રોજ મતદાન યોજાશે.
સન્માન સમારોહ:UPSCમાં સફળ થયેલા અનુસૂચિત જાતિના ઉમેદવારોનું અભિવાદન કરાયું
શિક્ષણ અને સામાજિક જાગૃતિના ઉમદા હેતુ સાથે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલા લીલાધર ભટ્ટ હોલ ખાતે UPSC પરીક્ષામાં સફળ થયેલા અનુસૂચિત જાતિના યુવાનોનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. આ વર્ષે ગુજરાતમાંથી અનુસૂચિત જાતિના વિક્રમજનક 10 ઉમેદવારો UPSCમાં સફળ થયા છે, જે ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી કરવા આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારના રોજ આ કાર્યક્રમ યોજાયો હતો. દીપ પ્રાગટ્ય અને મહાનુભાવોનું સ્વાગત કાર્યક્રમની શરૂઆત હર્ષદભાઈ સોલંકીના સ્વાગત પ્રવચનથી થઈ હતી. ત્યારબાદ UPSC ઉત્તીર્ણ ઉમેદવારો શ્રેયા પ્રિયદર્શી, નિશાંત પ્રિયદર્શી, જૈનિશ ચૌહાણ, જીતકુમાર નમહા, નરેન્દ્રભાઈ રાઠોડ અને રાજપાલ પંથ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ પરીખ દ્વારા કુશળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. સન્માન અને પ્રેરણા સમારંભમાં ઉપસ્થિત તમામ 'સમાજ રત્નો'નું બુકે, પંચશીલ ખેસ, ડૉ. બાબાસાહેબ આંબેડકરનું પુસ્તક અને મોમેન્ટો આપીને બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાજર ન રહી શકેલા આદિત્ય અમરાણી, વિરેન પરમાર, સાગર જાધવ અને રાહુલ રેવર વતી તેમના વાલીઓ- સંજયકુમાર અમરાણી, કિશોરભાઈ રેવર, ઋષિકેશ જાધવ અને દીપકકુમાર પરમારનું સન્માન કરી તેમની સફળતાને બિરદાવવામાં આવી હતી. આયોજકો અને સહયોગીઓ આ કાર્યક્રમના મુખ્ય આયોજક અને રિટાયર્ડ આસિસ્ટન્ટ કમિશનર (CGST Customs) રાજેશકુમાર (રાજુભાઈ) સોલંકીએ જણાવ્યું હતું કે, મા-બાપના સંસ્કાર અને શિક્ષણના મહત્વને સમાજમાં પ્રસારિત કરવાના હેતુથી આ પહેલ કરવામાં આવી હતી. દિનેશભાઈ વિહોલ અને અન્ય મિત્રોના સક્રિય સહયોગથી આ વિચાર મૂર્ત સ્વરૂપ પામ્યો છે. આ કાર્યક્રમને સફળ બનાવવામાં રાજુભાઇ સોલંકી, દિનેશભાઈ વિહોલ, રતિલાલ પરમાર અને ફૂલાભાઇ લકુમ, નરેશભાઈ સોખડિયા, આર. કે. ચૌહાણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત ડૉ. શ્યામલ પુરાણી, ભાનુભાઈ વાણીયા, કિર્તી ચૌહાણ, દિલીપ રાઠોડ, ભારતીબેન રાઠોડ, પ્રફુલ પરમાર, મીનાકુમારી સોલંકી, સચિન પટેલ અને અન્ય સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે પ્રકાશ બેન્કર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. રાજુભાઈ સોલંકીએ આગામી વર્ષોમાં પણ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આવા કાર્યક્રમો ચાલુ રાખવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
મહેસાણા મહાનગરપાલિકામાં નવા સમાવિષ્ટ થયેલા ગામોમાં વિરોધનો વંટોળ વધુ તેજ બન્યો છે. તાવડિયા અને ઉચરપી ગામ બાદ હવે દેલા ગામના ગ્રામજનોએ પણ આગામી મનપા ચૂંટણીનો બહિષ્કાર કરવાનું એલાન કર્યું છે. ગામમાં ઠેર-ઠેર કોઈપણ રાજકીય પક્ષે પ્રચાર માટે પ્રવેશ કરવો નહીં એવા બેનરો લગાવી દેવામાં આવતા રાજકીય વર્તુળોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ખેતી અને પશુપાલન પર સંકટનો ડરદેલા ગામના ખેડૂતોનો મુખ્ય આક્ષેપ છે કે મહેસાણા પૂર્વ વિસ્તારમાં ભારત માલા હાઇવે, શામળાજી હાઇવે, રીંગ રોડ અને ઇન્ડસ્ટ્રીયલ ઝોન જેવા પ્રોજેક્ટ્સને કારણે તેમની મહામૂલી જમીનો છીનવાઈ રહી છે. ખેતી અને પશુપાલન પર નિર્ભર પરિવારોને ડર છે કે જો જમીન જ નહીં રહે, તો પશુપાલન અને ગુજરાન કેવી રીતે ચલાવવું? રોજગારી ગુમાવવાના ભયે ગ્રામજનોને આંદોલનના માર્ગે વાળ્યા છે. વહીવટી શૂન્યાવકાશ અને કોર્ટ કેસસ્થાનિક અગ્રણી કિરણ ચૌધરીએ જણાવ્યું હતું કે મનપામાં જોડાવાનો વિરોધ પહેલા દિવસથી જ છે અને આ મામલો હાલ હાઈકોર્ટમાં વિચારાધીન છે, જેનો ચુકાદો આગામી શુક્રવારે આવવાની શક્યતા છે. બીજી તરફ, છેલ્લા ચાર-પાંચ મહિનાથી ગ્રામ પંચાયતને તાળા મારી દેવામાં આવ્યા હોવાથી વહીવટી તંત્ર ખોરવાયું છે: વધતો જતો બહિષ્કાર મહેસાણા મનપાની ચૂંટણીના ઉમેદવારોના નામ જાહેર થાય તે પહેલા જ દેલા, રામપુરા, સોભાસણ અને હેબુવા જેવા ગામોમાં એકસૂરે વિરોધ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો આ મિજાજ જોતા આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બને તેવા સંકેતો મળી રહ્યા છે, જે રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય બન્યો છે.
AAPના 6 ઉમેદવાર સહિત 60 કાર્યકરો ભાજપમાં:આંતરિક વિખવાદ અને સંગઠનના અભાવનો આક્ષેપ
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી (AAP) ને મોટો ફટકો પડ્યો છે. AAPના જાહેર કરાયેલા ૬ ઉમેદવારો સહિત અંદાજે 60થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે. પાર્ટી છોડનારા કાર્યકરોએ આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ અને પ્રદેશ કક્ષાએ સંગઠનના અભાવનો આક્ષેપ કર્યો છે. તેમણે સ્થાનિક સ્વરાજ્ય અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીમાં અન્યાય થયાનો પણ આરોપ લગાવ્યો હતો. આ તમામ કાર્યકરો સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના નમો કમલમ કાર્યાલય ખાતે ભાજપમાં જોડાયા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિક ટમાલિયા અને વિપુલભાઈ ચૌહાણ સહિતના હોદ્દેદારોએ તેમને ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. ભાજપમાં જોડાનારાઓમાં દીપક ચીહલા, ભાવિન માર્યા અને કુનાલ શાહ જેવા AAPના અગ્રણી કાર્યકરોનો સમાવેશ થાય છે. આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિક ટમાલિયા અને AAPના પૂર્વ ઉમેદવાર દીપક ચીહલાએ પ્રતિક્રિયા આપી હતી.
હાફેશ્વરના ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કારની ચીમકી:રસ્તાની માંગ: વન વિભાગની મંજૂરીમાં પ્રોજેક્ટ પડતર
છોટા ઉદેપુર જીલ્લાના તીર્થધામ એવા હાંફેશ્વર ખાતે પ્રાથમિક જરૂરિયાત એવા રસ્તાની માંગને લઈને ચુંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.અને રોડ નહીં તો વોટ નહીં ન સૂત્ર સાથે રસ્તાની માંગણી કરી રહ્યા છે. છોટા ઉદેપુર જીલ્લાના છેવાડે અને ગુજરાત,મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે આવેલું અને ગુજરાતની જીવાદોરી સમાન માં નર્મદાના ગુજરાતના પ્રવેશદ્વાર એવા હાફેશ્વર ગામ વિકાસથી વંચિત જીવ મળી રહ્યું છે. ગામમાં પાકા રસ્તાનો અભાવ જોવા મળી રહ્યો છે. ગામના નદીની સામે બાજુના પાધર ફળિયા,કેલિયાબારી, ઉધલધરા, વાકવી અને ત્યાંથી મધ્યપ્રદેશને જોડતો છ કિલોમીટરનો રસ્તો કાચો છે.ઉપરાંત ડામર રોડની બાજુમાં જ નદી આવે છે.શિયાળા ઉનાળામાં આ વિસ્તારના લોકોને અવર જવર કરવામાં તકલીફ ઓછી પડે છે. પરંતુ ચોમાસામાં નદીમાં પૂર આવી જતા લોકો સંપર્ક વિહોણા બની જાય છે. જેને લઈને હાફેશ્વરના આ વિસ્તારના લોકો રસ્તાની માંગ સાથે રોડ નહીં તો વોટ નહીં ન સૂત્ર સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.અને રસ્તો બનાવવાની માંગ કરી રહ્યા છે. હાફેશ્વરની ભૌગોલિક સ્થિતિ જેવી છે ?હાફેશ્વર ગામ નર્મદા કિનાર આવેલું ગામ છે.ગામમાં જવા માટે સિંગલ પટ્ટી ડામર રોડ છે.અને આ ડામર રોડની બે બાજુ ગામ વસેલું છે.ડુંગરાળ વિસ્તારમાં આવેલું ગામ છે ગામ લગભગ 7 થી 8 કિલોમીટરમાં ફેલાયેલું છે. રસ્તાની રાહ જોતા ફળિયાહાફેશ્વર ગામના પાધર ફળિયા, કેલિયાબારી,ઉધલધરા,વાકવી,મહુડાબારી ફળિયામાં કાચા રસ્તા છે. ઉપરાંત મુખ્ય ડામર રોડથી આ બધા ફળિયામાં જવા માટે સૌપ્રથમ નદી આવે છે જેના પર પુલ નથી.જેથી નદીના પટમાંથી લોકોએ પસાર થવાની ફરજ પડે છે.અને આ રસ્તો નર્મદા પરિક્રમા વાસીઓ પણ ઉપયોગ કરે છે. શું મુશ્કેલી પડે છે ?હાફેશ્વર ગામના આ રસ્તા પર આવેલા છે ફળિયામાં કુલ લગભગ 800 લોકોની વસતી આવેલી છે. ફળિયાઓમાં પ્રાથમિક શાળા, સરકારી માધ્યમિક શાળા અને આંગણવાડી આવેલી છે. ગામના ૬૦ બાળકો રસ્તાની સામે બાજુએથી અભ્યાસ કરવા આવે છે. જેઓને રસ્તાના અભાવે ભારે મુશ્કેલી પડે છે. 108 પહોચતી નથી એટલે ઝોળીમાં ઉચકીને જવું પડે છે.ગામના આ છ ફળિયામાં પાકા રસ્તા નથી અને નદી પર પુલ નથી એટલે 108 આ ફળીયામાં પહોંચતી નથી. જેથી કોઈ બીમાર હોય અથવા પ્રસૂતાને લઈ જવી હોય ત્યારે ઝોળીમાં ઉચકીને ડામર રોડ સુધી લઈ જવાની ફરજ પડે છે. ચોમાસામાં શાળાના બાળકોને અભ્યાસમાં ખૂબ તકલીફહાફેશ્વર ગામના આ છ ફળિયામાં રસ્તો નથી અને મુખ્ય ડામર રોડથી ઉતરતા જ નદી છે તેના પર પુલ પણ નથી જેથી ચોમાસામાં લોકો અહીંયાથી નદીના પાણીમાંથી જીવન જોખમે પસાર થાય છે.શાળાના બાળકોને પણ જીવનું જોખમ ખેડવું પડે છે અથવા શાળામાં રજા પાડવી પડે છે જેથી બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે.આટલું તો ઠીક શાળાના શિક્ષકો પણ જીવનું જોખમ ખેડીને શાળાએ જવા મજબૂર બને છે. રસ્તો મંજૂર રહ્યો છે પણ વન વિભાગ ની મંજૂરીમાં અટવાયોહાફેશ્વર ગામના આ છ ફળિયાને જોડતો પાકો રસ્તો મંજૂર થયો છે પરંતુ વન વિભાગની જમીન આવતી હોય વન વિભાગની મંજૂરીમાં આ રસ્તાનું કામ અટવાઈ ગયું છે.અને જેનો ભોગ હાફેશ્વરના ગ્રામજનો બની રહ્યા છે. ગ્રામજનોએ કંટાળીને ચૂંટણી બહિષ્કારની શસ્ત્ર ઉગામ્યુંહાફેશ્વરના ગ્રામજનોએ વારંવાર રસ્તાની બાબતે રજૂઆતો કરી છે.પરંતુ રસ્તો ન બનતા કંટાળીને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. કેન્દ્ર સરકાર ના પ્રવાસન વિભાગ દ્વારા વિરાસત ગામ તરીકે જાહેર કરાયું હાફેશ્વર ગામ પૌરાણિક ઓળખ ધરાવે છે.જેને લઈને તેના વિકાસ માટે કેન્દ્ર સરકારે પણ વર્ષ 2024માં વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે હેરિટેજ કેટેગરીમાં શ્રેષ્ઠ ગ્રામીણો પ્રવાસન સ્થળ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અને વિકાસ માટે રૂ.૧૦ કરોડ પણ ફાળવવામાં આવ્યા હતા.પરંતુ ગામના ખરાબ આંતરિક રસ્તાઓએ વિકાસમાં બાધારૂપ બને છે.
IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા.’
પાલિકા-પંચાયતની ચૂંટણી માટે અંતે ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત શરૂ કરી છે. સૌ પ્રથમ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની તમામ બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેઓના નામની યાદી નીચે મુજબ છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ભાજપના તમામ 52 ઉમેદવારોના નામની જાહેરાત અરવલ્લી જિલ્લાની પાલિકા-પંચાયતના ઉમેદવારો જાહેરઅરવલ્લી જિલ્લાની મોડાસા નગરપાલિકાના 6 વોર્ડના 24 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત મોડાસા તાલુકા પંચાયતના 20, ભીલોડા તાલુકા પંચાયતના 20, બાયડ તાલુકા પંચાયતના 18, માલપુર તાલુકા પંચાયતના 16, મેઘરજ તાલુકા પંચાયતના 22, શામળાજી તાલુકા પંચાયતના 16 અને સાઠંબા તાલુકા પંચાયતના 16 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેની યાદી નીચે મુજબ છે. કોંગ્રેસની પ્રથમ યાદીમાં 7 મહાનગરપાલિાકના 243 ઉમેદવારો જાહેર થયા હતા પાલિકા-પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ 2021 અને 2015ની ચૂંટણીમાં રાજ્યની જૂની 6 મહાનગરપાલિકાના પરિણામ
રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા આજે વધુ બે ગેંગ સામે ગુજસીટોક હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં કાળીયો ગેંગના 9 સભ્યો અને ઇમલા ગેંગના 8 સભ્યો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેના વિરુધ્ધ સૌરાષ્ટ્ર ભરમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 102 ગુના નોંધાઈ ચુક્યા છે. પોલીસે બે ગેંગના 12 સભ્યોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જયારે જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલ આરોપીઓનો જેલમાંથી કબ્જો મેળવવા અને ફરાર આરોપી ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા બે ગેંગ સામે ગુજસીટોક હેઠળ ફરિયાદ દાખલ રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરએ જણાવ્યું હતું કે, રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં આતંક મચાવનારી 'કાળીયો ગેંગ' પર ગુજસીટોક હેઠળ ગાળિયો કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા 10 વર્ષથી સમગ્ર સૌરાષ્ટ્રમાં ચોરી, લૂંટ અને શરીર સંબંધી ગંભીર ગુનાઓ આચરતી કુખ્યાત 'કાળીયો ગેંગ'ના 9 સભ્યો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ટોળકીના સભ્યોએ સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાઓમાં 47 ગુના આચર્યા હોવાનું સામે આવ્યું છે. આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર રણજીત ઉર્ફે રાહુલ ઉર્ફે કાળીયો ધીરુભાઈ સોલંકી છે. આ ગેંગ સંગઠિત થઈને પૂર્વ આયોજિત કાવતરા કરી ઘરફોડ ચોરી, વાહન ચોરી અને ખૂન જેવા ગંભીર ગુનાઓને અંજામ આપતી હતી. પોલીસ તપાસમાં આ ગેંગે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં તરખાટ મચાવી રાજકોટ ગ્રામ્યમાં 27 ગુના, જૂનાગઢમાં 6 ગુના, રાજકોટ શહેર અને અમરેલીમાં 4-4 ગુના તેમજ બોટાદ, ગીર સોમનાથ, જામનગર, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં પણ ચોરીના ગુના નોંધાઈ ચુક્યા છે. પોલીસે કુલ 9 આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ ફરિયાદ દાખલ કરી 6 આરોપીઓ રણજીત ઉર્ફે રાહુલ ઉર્ફે કરો ઉર્ફે કાળીયો ધીરૂભાઇ સોલંકી, દેવચંદ ધીરૂભાઇ સોલંકી, નારણ ઉર્ફે નરેશ ધીરૂભાઇ સોલંકી, જીતેશ ઉર્ફે કટ્ટી ઉર્ફે જીતો નવલભાઇ ઉર્ફે મુનીભાઇ વાઘેલા, પ્રકાશ ઉર્ફે પકો સવજીભાઇ ઉર્ફે સવાભાઇ વાઘેલા, સાગર અશોકભાઇ ઉર્ફે બાવભાઇ ચારોલીયાની ધરપકડ કરી છે જયારે એક આરોપી વિજય ઉર્ફે વિજુ ઉર્ફે વિજલો અમરશીભાઇ ચારોલા હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે તેનો જેલમાંથી કબ્જો મેળવવામાં આવશે અને ફરાર અન્ય 2 આરોપીઓ ઇનેશ ઉર્ફે યુનુસ ઉર્ફે ડીડી નવલભાઇ ઉર્ફે મુનીભાઇ વાઘેલા અને વિક્રમ ઉર્ફે વિકુ ઉર્ફે વિજય ધીરૂભાઇ સોલંકીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઉપરાંત રાજકોટ સહીત સૌરાષ્ટ્રની કુખ્યાત ઈમલા ગેંગના 8 સભ્યો સામે પણ ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેના વિરુધ્ધ છેલ્લા 10 વર્ષમાં કુલ 55 ગુના નોંધાઈ ચુક્યા છે. આ ગેંગનો મુખ્ય સાગરીત આરોપી ઇમરાન ઉર્ફે ઈમલો હસનભાઈ કટારીયાએ પોતાના સાગરીતો સાથે મળીને એક સંગઠિત ગુનાહિત સિન્ડિકેટ બનાવી ખૂનની કોશિશ, ગંભીર ઈજા, આર્મ્સ એક્ટ, પ્રોહિબિશન અને જુગાર જેવા કુલ 23 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તેમનો મુખ્ય હેતુ આર્થિક લાભ મેળવવા માટે વિસ્તારમાં ભયનું વાતાવરણ ઉભું કરી જાહેર શાંતિનો ભંગ કરવાનો હતો. આ ગેંગના કુલ 8 આરોપીઓ પૈકી 6 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં ઇરફાન ઉર્ફે ઇકુ હસનભાઇ ઉર્ફે જમાલભાઇ કટારીયા, ઇમરાન ઉર્ફે ઇમલો હસનભાઇ ઉર્ફે જમાલભાઇ કટારીયા, શકીલ હસનભાઇ ઉર્ફે જમાલભાઇ કટારીયા, હસનભાઇ ઇસ્માઇલભાઇ કટારીયા, સરફરજ ઉર્ફે નોડી હુશેનભાઇ શેખ, શાહરૂખ ઇબ્રાહીમભાઇ માંડલીયા ની પકડી પાડવામાં આવ્યા છે. જ્યારે આરોપી નવાજ ઉર્ફે બાંબુટ દિલાવરભાઇ પઠાણ, હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને 1 આરોપી હુશેન ઉર્ફે ભોલીયો દિલાવરભાઇ મકરાણીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીનો છેલ્લા 10 વર્ષનો ગુનાહિત ઇતિહાસ ઈરફાન ઉર્ફે ઇકુ હસન કટારીયા વિરુદ્ધ કુલ 12 ગુનાઓ નોંધાયા છે. જેમાં ખૂનની કોશિશના 2, ગંભીર ઇજા 1, સામાન્ય ઇજા 1 અને પ્રોહીબિશનના 8 ગુના નોંધાયા છે. આરોપી ઇમરાન ઉર્ફે ઇમલો હસન કટારીયા વિરુદ્ધ 10 ગુનાઓ નોંધાયા છે જેમાં ખૂનની કોશિશના 1, ગંભીર ઇજા 2, સામાન્ય ઇજા 2, આર્મ્સ એકટ 1 અને પ્રોહીબિશનના 4 ગુના નોંધાયા છે. આરોપી હુસેન ઉર્ફે ભોલીયો દિલાવર મકરાણી વિરુદ્ધ કુલ 7 ગુનાઓ નોંધાયા છે જેમાં ગંભીર ઇજા 2, સામાન્ય ઇજા 2, આર્મ્સ એકટ 2 અને પ્રોહીબિશનના 1 ગુના નોંધાયા છે. આરોપી શકીલ હસન મકરાણી વિરુદ્ધ કુલ 2 ગુનાઓ નોંધાયા છે જેમાં ગંભીર ઇજા 1 અને સામાન્ય ઇજા 1 ગુનો નોંધાયો છે. આરોપી હસન ઇસ્માઇલ કટારીયા વિરુદ્ધ કુલ 3 ગુનાઓ નોંધાયા છેમ જેમાં ખૂનની કોશિશ 1, ગંભીર ઇજા 1 અને પ્રોહીબિશન 1 ગુનો નોંધાયો છે. આરોપી સરફરાજ ઉર્ફે નોડી હુસેન શેખ વિરુદ્ધ કુલ 2 ગુનાઓ નોંધાયા છે જેમાં ગંભીર ઇજા 1 અને પ્રોહીબિશન 1 ગુનો નોંધાયો છે. જયારે આરોપી નવાઝ ઉર્ફે બાંબુટ દિલાવર પઠાણ અને શાહરુખ ઇબ્રાહિમ માંડલીયા વિરુદ્ધ ગંભીર ઇજાના એક-એક ગુના નોંધાઈ ચુક્યા છે.
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ (AAP) વ્યૂહાત્મક તૈયારીઓ સાથે 23 ઉમેદવારોની બીજી યાદી પ્રસિદ્ધ કરી છે. આ યાદીમાં પક્ષે પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા અને શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી જેવા દિગ્ગજોને મેદાનમાં ઉતારીને ભાજપ-કોંગ્રેસ સામે મજબૂત પડકાર ફેંક્યો છે. સામાન્ય પરિવારના શિક્ષિત લોકો અને અનુભવી ચહેરાઓના સંગમ સાથે પક્ષે સ્થાનિક સ્વરાજમાં નવો ઇતિહાસ રચવાનો દાવો કર્યો છે. વોર્ડ-4 અને 13 માં ઉમેદવારોને બદલવાનો નિર્ણયઆમ આદમી પાર્ટીએ તેના સંગઠનના સૌથી મજબૂત નેતાઓને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાને વોર્ડ નંબર 4 માંથી અને શહેર પ્રમુખ તથા પૂર્વ વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીને વોર્ડ નંબર 17 માંથી ટિકિટ આપવામાં આવી છે. પક્ષે મનોજ સોરઠીયાની સંગઠન શક્તિ અને ધર્મેશ ભંડેરીની લોકપ્રિયતા પર ભરોસો મૂક્યો છે. આ ઉપરાંત, કોંગ્રેસમાંથી પરત આવેલા અનુભવી નેતા દિનેશ કાછડીયાને વોર્ડ નંબર 5 માંથી ટિકિટ આપીને પક્ષે સૌને ચોંકાવ્યા છે. નોંધનીય છે કે, પક્ષે આ યાદીમાં વોર્ડ નંબર 4 અને 13 માં અગાઉ જાહેર કરેલા ઉમેદવારોને બદલવાનો મહત્વનો નિર્ણય લીધો છે. સક્રિય કોર્પોરેટરોને ફરી તકમહાનગરપાલિકામાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન આક્રમક ભૂમિકા ભજવનાર જૂના જોગીઓ અને કોર્પોરેટરો પર પક્ષે ફરી વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વોર્ડ નંબર 7 માંથી દીપ્તિબેન સાકરીયા, વોર્ડ નંબર 16 માંથી જીતેન્દ્રભાઈ કાછડીયા અને વોર્ડ નંબર 4 માંથી કુંદનબેન કોઠીયાને ફરીથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. શાસક પક્ષ સામે અવાજ ઉઠાવનાર આ સક્રિય ચહેરાઓને રિપીટ કરીને AAP એ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ કામગીરીના આધારે મેદાનમાં ઉતરી રહ્યા છે. સંગઠનના શિલ્પી મનોજ સોરઠીયાપક્ષના ‘એન્જિનિયરિંગ માઈન્ડ’ ગણાતા મનોજ સોરઠીયા પર AAPએ મોટો જુગાર ખેલ્યો છે. વ્યવસાયે એન્જિનિયર સોરઠીયાએ ગુજરાતમાં ગામેગામ સમિતિઓ બનાવીને સંગઠન ઊભું કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેઓ ટેકનિકલ રીતે સોશિયલ મીડિયા અને વોલેન્ટિયર નેટવર્ક સંભાળવામાં માહેર છે. 2022માં સુરતમાં ગણેશ ઉત્સવ દરમિયાન થયેલા હુમલા છતાં તેમની સતત લડાયક વૃત્તિએ કાર્યકરોમાં ઊંડો પ્રભાવ પાડ્યો છે. AAP એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવશેઆમ આદમી પાર્ટીએ આ લિસ્ટ જાહેર કરતા જણાવ્યું હતું કે, અમે કોઈ મોટા માથાઓને નહીં પણ સામાન્ય પરિવારના શિક્ષિત યુવાનો, વડીલો અને બહેનોને સ્થાન આપ્યું છે. ભાજપ અને કોંગ્રેસના શાસન સામે AAP એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવશે અને આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નવો ઇતિહાસ લખાશે.
નવસારી ભાજપ ઉમેદવારોની યાદી આજે રાત્રે જાહેર થશે:કોંગ્રેસ આવતીકાલે સવારે ઉમેદવારોની જાહેરાત કરશે
નવસારી મહાનગરપાલિકાની પ્રથમ ઐતિહાસિક ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ખાસ કરીને સત્તાધારી ભાજપમાં ઉમેદવારોના નામ નક્કી કરવા માટે ચાલી રહેલી આંતરિક ખેંચતાણનો આજે અંત આવી શકે છે. ગાંધીનગરના 'કમલમ' ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નવસારીના નામો પર મંથન શરૂ થવાની તૈયારી છે. ગાંધીનગર ખાતે મળેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ સહિત સ્થાનિક ધારાસભ્યો અને સંગઠનના મહામંત્રીઓ હાજર રહ્યા છે. અત્યાર સુધી અન્ય મહાનગરપાલિકાઓના ઉમેદવારો અંગે ચર્ચા ચાલતી હોવાથી નવસારીનો વારો આવ્યો ન હતો, પરંતુ હવે ટૂંક સમયમાં નવસારીના 13 વોર્ડની 52 બેઠકો માટેના ઉમેદવારો પર મહોર મારવામાં આવશે. પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વખતે ઉમેદવાર પસંદગીમાં કડક માપદંડો અપનાવવામાં આવ્યા છે. જે દાવેદારો સતત ત્રણ ટર્મથી ચૂંટણી લડ્યા છે, તેમને ટિકિટ આપવામાં આવશે નહીં. ઉપરાંત, 60 વર્ષથી વધુ વય ધરાવતા દાવેદારોની પણ બાદબાકી કરવામાં આવશે. પક્ષ માટે વર્ષોથી ખંતથી કામ કરતા હોય અને જીતવાની ક્ષમતા ધરાવતા યુવા ચહેરાઓને મેદાને ઉતારવામાં આવશે. 13 વોર્ડની 52 બેઠકો માટે આ જંગ ખેલાવાનો છે, જેમાં કુલ 3,05,653 મતદારો ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ 11 એપ્રિલ છે. સમય ઓછો હોવાથી ભાજપ આજે મોડી રાત સુધીમાં યાદી જાહેર કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. બીજી તરફ, કોંગ્રેસે પણ પોતાની રણનીતિ તૈયાર કરી લીધી છે અને તેમના ઉમેદવારોનું લિસ્ટ આવતીકાલે (શુક્રવારે) વહેલી સવારે જાહેર કરવામાં આવશે. હાલમાં તો તમામ દાવેદારો અને કાર્યકરોની નજર ગાંધીનગર કમલમ પર ટકેલી છે. કયા વોર્ડમાં કોનું પત્તું કપાશે અને કયા નવા ચહેરાને તક મળશે તેને લઈને નવસારીના રાજકારણમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.
સુરતના એક મુસ્લિમ શિક્ષિકાએ તેમના પરિવારને નવા ખરીદેલા બંગલામાં રહેવા જતા સોસાયટીના સભ્યો દ્વારા રોકવામાં આવ્યા બાદ, પોલીસ સુરક્ષાની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. કથિત રીતે સોસાયટીના સભ્યોએ 'નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) ન મેળવ્યું હોવાના બહાને અને તેમના ધર્મના આધારે તેમને પ્રવેશતા અટકાવ્યા હતા. મુસ્લિમ પરિવારની હાઈકોર્ટમાં અરજીપરિવારે અગાઉ પોલીસ સુરક્ષા માંગી હતી, પરંતુ સુરત પોલીસે તેને કાર્યવાહી માટે યોગ્ય કેસ ગણ્યો ન હતો. ત્યારબાદ પરિવારે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેણે હવે આ મામલે હસ્તક્ષેપ કર્યો છે અને સુરત પોલીસ કમિશનરને આદેશ આપ્યો છે કે તેઓ ચાર અઠવાડિયાની અંદર પરિવારની સુરક્ષાની વિનંતી પર વિચાર કરે, જેથી તેઓ તેમના નવા ઘરમાં રહી શકે. લઘુમતી સમુદાયના માલિક પાસેથી બંગલો ખરીદ્યોએક ખાનગી શાળાની શિક્ષિકા દ્વારા સપ્ટેમ્બર 2025માં સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી એક કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં બંગલા નંબર 80 એક લઘુમતી સમુદાયના માલિક પાસેથી ખરીદ્યો હતો. આ વિસ્તારમાં સરકારે 'ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટ' લાગુ કરેલો હોવાથી, એપ્રિલ 2025માં સરકારની ફરજિયાત પૂર્વ મંજૂરી મેળવ્યા બાદ જ વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યો હતો. સોસાયટીના અન્ય રહેવાસીઓએ પ્રવેશતા રોક્યા18 સપ્ટેમ્બર, 2025ના રોજ જ્યારે અરજદાર પરિવાર ઘરમાં રહેવા માટે ગયો, ત્યારે સોસાયટીના અન્ય રહેવાસીઓએ કથિત રીતે એકઠા થઈને તેમને પ્રવેશતા રોક્યા હતા. તેમણે વાંધો ઉઠાવ્યો હતો કે સોસાયટીની NOC વિના લઘુમતી ધર્મનો પરિવાર ત્યાં રહી શકે નહીં. આ સોસાયટીમાં કુલ 84 બંગલા છે, જેમાંથી 20માં ખ્રિસ્તી પરિવારો, 8માં મુસ્લિમ પરિવારો અને બાકીનામાં હિન્દુ પરિવારો રહે છે. સોસાયટીની NOC વિના ઘર વેચી કે ભાડે આપી શકાય નહીંઆ વિવાદ રાંદેર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, જ્યાં અરજદારના પતિએ પોલીસ સુરક્ષાની માંગ કરી હતી. ચાર દિવસ પછી, એક આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટરે સોસાયટીના પ્રમુખનું નિવેદન નોંધીને રિપોર્ટ સબમિટ કર્યો હતો. પ્રમુખે જણાવ્યું હતું કે સોસાયટીની NOC વિના ઘર વેચી કે ભાડે આપી શકાય નહીં. પોલીસ અધિકારીએ એવી દલીલ સાથે અરજી બંધ કરવાની ભલામણ કરી હતી કે રહેવાસીઓ અને અરજદાર પરિવાર વચ્ચે કોઈ ઝઘડો થયો નથી, તેથી પોલીસ સુરક્ષાની જરૂર નથી. સોસાયટીના સભ્યો તરફથી તેમના પરિવારની સુરક્ષાને ખતરોઅરજદારે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને જણાવ્યું હતું કે, સોસાયટીના સભ્યો તરફથી તેમના પરિવારની સુરક્ષાને ખતરો છે. તેમણે દલીલ કરી હતી કે અશાંત ધારા હેઠળ સરકારની મંજૂરી મેળવીને મિલકત કાયદેસર રીતે ખરીદવામાં આવી હોવાથી તેમને ત્યાં રહેવાનો સંપૂર્ણ અધિકાર છે. પોલીસ સુરક્ષા આપવા માટેની અરજદારની રજૂઆતગુજરાત હાઈકોરે નોંધ્યું હતું કે અરજદારે ગુજરાત અશાંત ધારા હેઠળ મંજૂરી મેળવી છે અને તેમના પક્ષમાં વેચાણ દસ્તાવેજ પણ કરવામાં આવ્યો છે, તે હકીકતને ધ્યાનમાં રાખીને, સુરત શહેર પોલીસ કમિશનરે રાંદેર પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટરના અગાઉના રિપોર્ટથી પ્રભાવિત થયા વિના, પોલીસ સુરક્ષા આપવા માટેની અરજદારની રજૂઆત પર વિચાર કરવો જોઈએ.
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી ખાનગી ફાઈનાન્સ કંપનીની મહિલા કર્મચારીએ નોકરી છોડ્યા બાદ ગ્રાહકો પાસેથી વસૂલ કરેલા હપ્તા અને લોન ક્લોઝ કરાવવા 1.21 લાખ રૂપિયા ઉઘરાવ્યા હતાં. પરંતુ, માત્ર 29 હજાર જ ભરી બાકીના 92 હજાર રૂપિયા નહી જમા કરાવી છેતરપીંડી આચરવામાં આવી છે, જેથી ઠગ મહિલા કર્મચારી સામે ઠગાઈ ફરિયાદ નોંધાઈ છે. વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલી પહલ ફાઇનાન્સ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના બ્રાંચ મેનેજર મુકેશભાઈ અગ્રવાલે નોંધાવેલી ફરીયાદ પ્રમાણે કેશાબેન સુરેશભાઈ કાછીયા નામની મહિલા વર્ષ 2020થી કંપનીમાં ફિલ્ડ ઓફિસર તરીકે કાર્યરત હતી. તે મહિલાઓના ગ્રુપ બનાવી લોન આપતી અને દર મહિને હપ્તા વસૂલવાની જવાબદારી સંભાળતી હતી. ડિસેમ્બર 2024માં રાજીનામું આપ્યા બાદ નવા સ્ટાફને માહિતી ન હોવાથી જૂના ગ્રાહકો સાથે તપાસ કરતા ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. ગ્રાહકો પાસેથી મળેલી માહિતી મુજબ, અનેક લોકોએ નિયમિત હપ્તા તેમજ લોન ક્લોઝિંગ માટેની રકમ કેશાબેનને ચુકવી હોવા છતાં તે રકમ કંપનીના ખાતામાં જમા કરાવવામાં આવી નહોતી. મહિલા આરોપીએ 1.21 લાખ રૂપિયા ગ્રાહકો પાસેથી મેળવ્યા હોવા છતાં કંપનીમાં જમા કરાવી નહોતી. જેમાંથી માત્ર આશરે રૂ.29 હજાર જમા કરાવ્યા હતા. જ્યારે બાકીની મોટી રકમ પોતાના ઉપયોગમાં લીધી હોવાનો આક્ષેપ છે. આ ઉપરાંત આરોપીએ કંપનીના અધિકારીને ફોન કરીને આત્મહત્યા કરવાની ધમકી આપ્યાની પણ વિગતો સામે આવી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ સાથે ફરીયાદ નોંધાવવામાં આવી છે.
પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ પ્રક્રિયાના ભાગરૂપે, ગોધરા સ્થિત જિલ્લા સેવાસદન કચેરીમાંથી ઈવીએમ મશીનોનું ડિસ્પેચિંગ શરૂ કરવામાં આવ્યું છે. ગોધરાની ચૂંટણી કચેરી ખાતે ઈવીએમ મશીનોનું ફર્સ્ટ લેવલ ચેકિંગ (FLC) પૂર્ણ થયા બાદ, આજે તેમને જિલ્લાના વિવિધ તાલુકામથકો પર આવેલા સ્ટ્રોંગરૂમ તરફ રવાના કરવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયા સુરક્ષિત અને પારદર્શક રીતે હાથ ધરવામાં આવી હતી. ઈવીએમ મશીન ડિસ્પેચની કામગીરી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સમગ્ર પ્રક્રિયાની વિડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. પંચમહાલ જિલ્લાના કુલ સાત તાલુકામથકો પર આવેલા સ્ટ્રોંગરૂમમાં સૌપ્રથમ ઈવીએમ મશીનોનો સંગ્રહ કરવામાં આવશે. ત્યારબાદ ચૂંટણીના દિવસોને ધ્યાનમાં રાખીને, આ મશીનોને સ્ટ્રોંગરૂમમાંથી જે-તે મતદાનમથકો પર મોકલવામાં આવશે. જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા અગાઉ ઈવીએમ મશીનોની FLC પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થઈ ચૂકી છે. જેને લઈને SIR બાદ મતદાર યાદી પણ જાહેર થઈ ચૂકી છે. આ ચૂંટણીઓ અને મતદાર યાદીને લઈને ઉમેદવારો તેમજ સંભવિત ઉમેદવારો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચી રહ્યા છે. 1. પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત એક સંભવિત ઉમેદવારે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે મુજબ તેનું નામ પોરબંદર વિધાનસભાની મતદાર યાદીમાં છે, પરંતુ પોરબંદર મહાનગરપાલિકાની યાદીમાં નથી. પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે, એક સંભવિત ઉમેદવાર છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ છે. આ સંદર્ભે તેને સંબંધિત અધિકારીને વારંવાર તેનું નામ પોરબંદર મહાનગરપાલિકાની યાદીમાં સમાવવા રજૂઆત કરી હતી. જેને અધિકારીએ માન્ય પણ રાખી હતી. તેમ છતાં ફાઈનલ વોટર લિસ્ટમાં તેનું નામ નહોતું. તેના રહેણાંકના આજુબાજુના લોકોના નામ પણ મતદાર યાદીમાં છે. જો કે સામા પક્ષે વકીલનું કહેવું હતું કે તે કોર્પોરેશન એરિયાની બહાર રહે છે. જો કે હાઇકોર્ટે અરજદારની અરજી માન્ય રાખતા વોર્ડ નંબર 9ની મતદાર યાદીમાં તેનું નામ સમાવવા નિર્દેશ આપ્યા છે. 2. બીજી અરજી વાપીના એક વકીલ દ્વારા કરવામાં આવી હતી. જેના જણાવ્યા મુજબ તે વાપીના છરવડા વિસ્તારની રાજમોતી સોસાયટીમાં રહે છે. SIR બાદ બ્લોક લેવલ ઓફિસરે તેનું નામ વાપી નગરપાલિકાની યાદીમાંથી હટાવી દીધું હતું, તેનું નામ વિધાનસભાની મતદાર યાદીમાં છે. તે પોતે વકીલ હોવાથી સવારે 11 થી 05 માં ઘરે ના હોય અને કામે હોય તેવું બની શકે. વળી વાપી હવે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યું છે. છરવડા વિસ્તાર વાપી નગરપાલિકાનો ભાગ છે. તેનું નામ વાપીની મતદાર યાદીમાંથી બાદ થયું હોવાની ખબર પડતાંફોર્મ 06 ભર્યું હતું. તેમ છતાં તેનું નામ મતદાર યાદીમાં સામેલ થયું નથી. તે વાપીના મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટે એક ઉમેદવાર છે. આશ્ચર્યજનક વાત એ છે કે તે એક સોસાયટીમાં ચોથા માળે રહે છે. તેનું નામ મતદાર યાદીમાં નથી. પરંતુ નીચેના ત્રણ માળમાં રહેતા લોકોના નામ મતદાર યાદીમાં છે, તે કેવી રીતે સંભવ બને ? જો કે સામા પક્ષના વકીલે કહ્યું હતું કે અરજદારનું નામ GIDC વિસ્તારમાં બોલી રહ્યું છે. અરજદારનું કહેવું હતું કે તે વાપી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવી રહ્યો છે અને તેની પાસે પાર્ટીનો મેન્ડેટ પણ આવી ચૂક્યો છે. હાઇકોર્ટે અરજદારની અરજી ગ્રાહ્ય રાખીને તેનું નામ વોર્ડ નંબર 05ની મતદાર યાદીમાં સમાવેશ કરવા હુકમ કર્યો છે. 3.એક અરજદારે અરજી કરી હતી કે પહેલા તે દસક્રોઈ રહેતો હતો. ત્યારબાદ અરવલ્લી ખાતે રહેવા જતા તેને નામ બાયડની મતદાર યાદીમાં સમાવેશ કરવા અરજી આપી હતી. હવે તે બાયડની ચૂંટણીમાં ભાગ લેવા માંગે છે, પરંતુ તેનું નામ દસ્ક્રોઈમાં બોલે છે. આથી હાઇકોર્ટે અરજદારની બાહેંધરી માગી હતી કે તે અમદાવાદની ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે નહીં તેવી બાહેધરી આપે. આ સાથે જ અરજદારની અરજી ગ્રાહ્ય રાખવામાં આવી હતી.
ગાંધીનગરના કર્મયોગી ભવનમાં વીજ પુરવઠો ખોરવાયો:અડધો કલાકથી સરકારી કામકાજ ઠપ, ગરમીથી કર્મચારીઓ બેહાલ
ગાંધીનગરના સેક્ટર-8 સ્થિત કર્મયોગી ભવનમાં આજે બપોરે અચાનક વીજ પુરવઠો ખોરવાઈ જતાં સરકારી કચેરીઓની કામગીરી અટકી પડી હતી. અંદાજે અડધો કલાકથી વધુ સમય સુધી વીજળી ગુલ રહેતા ટેકનિકલ ખામીના કારણે વહીવટી કાર્યમાં ભારે વિક્ષેપ સર્જાયો હતો. ગરમીથી કર્મચારીઓ ભારે અકળાયાવીજ પુરવઠો બંધ થવાને કારણે ભવનની લિફ્ટ, પંખા અને લાઈટ સહિતની તમામ પાયાની સુવિધાઓ એકસાથે બંધ થઈ ગઈ હતી. કચેરીઓમાં અંધારું છવાઈ જતાં અને ગરમી તેમજ બાફના વધતા પ્રમાણને લીધે કર્મચારીઓ ભારે અકળાયા હતા. લિફ્ટ બંધ હોવાને કારણે ઉપરના માળે કાર્યરત કર્મચારીઓને અવરજવર માટે સીડીનો સહારો લેવો પડ્યો હતો. કામગીરી અટકી પડતા કર્મચારીઓમાં અસંતોષઆ વીજ સમસ્યાના કારણે દૈનિક પ્રશાસનિક કામગીરી અને ફાઈલોના નિકાલમાં મોટો વિલંબ સર્જાયો હતો. પાટનગરની મહત્વની કચેરીઓમાં આ પ્રકારે કામગીરી અટકી પડતા કર્મચારીઓમાં અસંતોષ જોવા મળ્યો હતો અને લાઈટ કાપ જેવી સ્થિતિ અંગે ચર્ચાઓ જાગી હતી. હાલમાં આ વીજ ખામી પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે સંબંધિત વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને વહેલી તકે પુરવઠો પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ છે.
ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયાએ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે. ‘ભાજપ AAPથી ડરે છે’તેમણે જણાવ્યું કે ચૂંટણી જેમ જેમ નજીક આવે છે તેમ ભાજપની FIR કરવાની નીતિ વધુ મજબૂત બનતી જાય છે. મનોજ સોરઠીયાના જણાવ્યા અનુસાર, આજે પણ AAPના ઉમેદવારો અને કાર્યકર્તાઓ પર FIR નોંધાઈ છે. આ સ્થિતિ સ્પષ્ટ દર્શાવે છે કે ભાજપ AAPથી ડરે છે. સોરઠીયાએ વધુમાં દાવો કર્યો કે કોંગ્રેસના કોઈ પણ નેતા કે ઉમેદવાર સામે એક પણ FIR નોંધાઈ નથી, જે ભાજપના વલણ પર સવાલ ઉભા કરે છે. તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો કે ગુજરાતની જનતામાં ભાજપના શાસનથી અસંતોષ છે અને આગામી ચૂંટણીમાં જનતા જવાબ આપશે. સાથે જ તેમણે કહ્યું કે જો ગુજરાતની જનતા પરિવર્તન લાવશે, તો રાજ્યના ભવિષ્ય માટે સુવર્ણ દિવસો આવી શકે છે. જ્યાં સુધી ભાજપ સત્તામાં રહેશે ત્યાં સુધી સામાન્ય લોકોની સ્થિતિમાં સુધારો શક્ય નથી.
ગાંધીનગરની GMERS સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના નિષ્ણાત તબીબોએ એક 39 વર્ષીય પુરુષ દર્દીની લીવર હાઇડેટીડ સિસ્ટની અત્યંત જટિલ અને જોખમી સર્જરી સફળતાપૂર્વક પાર પાડી છે. છેલ્લા પાંચ વર્ષથી આ ગંભીર બીમારીથી પીડાતા દર્દીને ખાનગી હોસ્પિટલોના મોંઘા ખર્ચ અને જીવના જોખમ સામે સિવિલના તબીબોએ નિઃશુલ્ક અને સુરક્ષિત સારવાર આપી આશાનું કિરણ પૂરું પાડ્યું છે. લીવરમાં હજારોની સંખ્યામાં નાની-મોટી 'ડોટર સિસ્ટ' ભરાયેલી હતીવર્ષ 2021થી બીમારીનો સામનો કરી રહેલા આ દર્દીએ અનેક હોસ્પિટલોના સંપર્ક કર્યા હતા, પરંતુ સર્જરીમાં રહેલા જોખમને કારણે તેમનો પરિવાર ભયમાં હતો. અંતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના તબીબોએ દર્દી અને તેના સગાઓને રોગ વિશે વિગતવાર સમજણ આપી તેમનો ડર દૂર કર્યો હતો. પરિવારની સંમતિ બાદ સર્જરી હાથ ધરતા તબીબો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા, કારણ કે લીવરમાં રહેલી મુખ્ય હાઇડેટીડ સિસ્ટ (મધર સિસ્ટ) ની અંદર હજારોની સંખ્યામાં નાની-મોટી 'ડોટર સિસ્ટ' ભરાયેલી હતી. આ જટિલ ઓપરેશનમાં સર્જન ડો. નિયતિ લાખાણી, ડો. પ્રતિક શાહ, ડો. બિન્નલ પંચાલ અને ડો. પ્રતિક પટેલની ટીમે સાવચેતીપૂર્વક તમામ સિસ્ટને લીવરને નુકસાન પહોંચાડ્યા વગર દૂર કરી હતી. આ પ્રક્રિયામાં એનેસ્થેટિસ્ટ ડો. ભારતી રાજાણી, ડો. પ્રિયંકાબેન અને તેમની ટીમે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. શું છે આ બીમારી અને તેનું જોખમ?આ રોગ Echinococcus granulosus નામના કરમિયા દ્વારા ફેલાતા ચેપને કારણે થાય છે. શરીરમાં લીવર જેવા અંગમાં જ્યારે આ જીવ ઘર બનાવે ત્યારે એક મોટી કોથળી (મધર સિસ્ટ) બને છે, જેની અંદર સમય જતાં નાની અનેક કોથળીઓ (ડોટર સિસ્ટ) પેદા થાય છે. ડોટર સિસ્ટની સંખ્યા વધવાથી અંગો પર દબાણ વધે છે, જેનાથી અસહ્ય દુ:ખાવો અને પાચનની સમસ્યા થાય છે. જો સર્જરી દરમિયાન એક પણ સિસ્ટ અંદર ફાટી જાય, તો ગંભીર એલર્જીક રિએક્શન આવવાનું અથવા રોગ આખા શરીરમાં ફેલાવાનું જોખમ રહેલું હોય છે. પાંચ વર્ષની સતત પીડા બાદ મળેલી આ સફળતાથી દર્દી હવે સંપૂર્ણ સ્વસ્થ અને ભયમુક્ત છે. વર્ષોની હાડમારીનો અંત આવતા પરિવારજનોએ સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબો અને સહાયક સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.
પાટણ જિલ્લાના સિદ્ધપુર હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હાથ ધરાયેલી તપાસમાં અશોક લેલન બડા દોસ્ત ગાડીમાંથી 308 ડબ્બા શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું, જેની કિંમત 7.70 લાખ રૂપિયા આંકવામાં આવી છે. આ કાર્યવાહી સિદ્ધપુર હાઈવે પર ગોકુળ યુનિવર્સિટી સામે કરવામાં આવી હતી. સરહદી રેન્જ ભુજ આઈજી ચિરાગ કોરડીયા, પાટણ પોલીસ અધિક્ષક વી.કે. નાયી અને સિદ્ધપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ સઘન વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન સફેદ કલરની અશોક લેલન બડા દોસ્ત ગાડીને રોકાવીને તપાસ કરાઈ હતી. ગાડીમાં સવાર વિજય અમૃતલાલ ગાંડાજી ઠાકોર (ઉં.વ. 26) અને સચીન દિવાનજી લાલાજી ઠાકોર (ઉં.વ. 27), બંને રહે. નરોડા, અમદાવાદનાઓની પૂછપરછ કરવામાં આવી હતી. જોકે, ઘીના જથ્થા બાબતે ડ્રાઈવર પાસે કોઈ સંતોષકારક જવાબ ન મળતા પોલીસે માર્કા વગરના શંકાસ્પદ ઘીના ડબ્બા જપ્ત કર્યા હતા. પોલીસે 15 કિલોગ્રામના કુલ 308 નંગ શંકાસ્પદ ઘીના ડબ્બા, જેની કિંમત 7,70,000 રૂપિયા થાય છે, તે જપ્ત કર્યા છે. આ ઉપરાંત 5,00,000 રૂપિયાની અશોક લેલન ગાડી પણ કબ્જે કરવામાં આવી છે. આમ, પોલીસે કુલ 12,70,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કામગીરીમાં સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.કે. ઝાલા, પી.એસ.આઈ. જે.આર. શુક્લા તેમજ એ.એસ.આઈ. નિલેશકુમાર, રાહુલકુમાર, દેવશી અને અન્ય પોલીસ સ્ટાફ જોડાયો હતો. પોલીસે હાલ આ જથ્થો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
હિંમતનગરમાં કરંટ લાગતા વેપારીનું મોત:બાથરૂમમાં સ્નાન કરતી વખતે ગીઝરના વાયરથી લાગ્યો આંચકો
હિંમતનગરમાં નવાબજાર વિસ્તારમાં કરિયાણાના વેપારી રાકેશકુમાર રમેશચંદ્ર મોદીનું કરંટ લાગવાથી મોત થયું છે. આ ઘટના આજે સવારે તેમના ઘરના બાથરૂમમાં સ્નાન કરતી વખતે બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર, રાકેશકુમારની દુકાન નીચે અને રહેઠાણ ઉપરના માળે આવેલું છે. આજે સવારે જ્યારે દુકાનમાં કામ કરતો દિલાવર આવ્યો ત્યારે દુકાન બંધ હતી. તેણે રાકેશભાઈને ફોન કર્યો, પરંતુ ફોન ઉપાડ્યો ન હતો. ત્યારબાદ તેણે રાકેશભાઈના સસરાને જાણ કરી હતી. રાકેશભાઈના સસરાએ આવીને તપાસ કરતા રાકેશકુમાર બાથરૂમમાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. પરિવારજનોને જાણ થતાં તેઓ ઘરે પહોંચ્યા હતા. ઘટનાની જાણ હિંમતનગર બી ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે દરવાજો તોડીને અંદર પ્રવેશ કરતા રાકેશકુમાર બાથરૂમમાં પડેલા જોવા મળ્યા હતા. તપાસ દરમિયાન ગીઝરનો વાયર નીકળેલો જણાયો હતો, જેના કારણે કરંટ લાગવાથી તેમનું મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તારણ છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ અંગે હિંમતનગર બી ડિવિઝન PI એ.એમ. ચૌધરીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, નવાબજારના કરિયાણાના દુકાનદાર રાકેશભાઈ મોદીને દુકાન ઉપરના ઘરમાં સ્નાન કરતી વખતે કરંટ લાગ્યો હતો, જેના કારણે તેમનું મોત નીપજ્યું છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસ ઉપર પરિવારવાદના આક્ષેપ કરવામાં આવતા હોય છે આ બધા વચ્ચે ભાજપમાં પણ ક્યાંક પરિવાર વાદ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા લેવામાં આવેલી સેન્સમાં પરિવારવાદ જોવા મળ્યો હતો અને આજે ઉમેદવારોની જાહેરાત થાય તે પહેલા અંતિમ ક્ષણ સુધી ભલામણો કરવામાં આવી રહી છે. જેમાં મોટા નેતાઓ દ્વારા પણ પોતાના પરિવારમાંથી કોઈને ટિકિટ આપવામાં આવે એવી માંગણી કરવામાં આવી રહી છે. જેમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને રાજકોટના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અને લાખાભાઇ સાગઠીયા દ્વારા તેમના દીકરા માટે ટિકિટની માંગણી કરવામાં આવી છે. ક્યા નેતાની ભલામણ માન્ય ગણી પરિવારવાદને કેટલું મહત્વ આપશે?આ ઉપરાંત રાજકોટ મનપાના પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા દ્વારા તેમના પુત્ર માટે ટિકિટ માંગણી કરવામાં આવી છે. પૂર્વ કોર્પોરેટર વિનુભાઈ ઘવા, બાબુભાઇ મકવાણા, નીતિન રામાણી, હરિભાઈ ડાંગર, પોપટભાઈ ટોળીયાએ પોતાના સંતાનો માટે ટિકિટની માંગણી કરી છે. જયારે પૂર્વ કોર્પોરેટર ડો. અલ્પેશ મોરઝરિયા અને જીતુ કાટોળીયાએ તેમના પત્ની માટે ટિકિટની માંગણી કરવામાં આવી છે. જોકે, હવે પ્રદેશ મવડી મંડળ ક્યા નેતાની ભલામણ માન્ય ગણી પરિવારવાદને કેટલું મહત્વ આપશે? તે તો ઉમેદવારોની જાહેરાત બાદ જ જાણી શકાશે પરંતુ, હાલમાં ભાજપના આંતરિક વર્તુળોમાં જ પરિવારવાદ થતો હોવાનો ગણગણાટ રાજકોટ શહેર ભાજપમાં ચાલી રહ્યો છે. કુલ 1010 દાવેદારોએ દાવેદારી નોંધાવીરાજકોટ શહેર ભાજપ દ્વારા લેવામાં આવેલી સેન્સ પ્રક્રિયામાં પ્રથમ દિવસે 656 બાદ બીજા દિવસે 354 મળી કુલ 1010 કાર્યકર્તાઓએ દાવેદારી નોંધાવી હતી
અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોબલનગરથી ભદ્રેશ્વર તરફ જવાના જાહેર રોડ પર દારૂની મહેફિલ માણતા યુવકોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પીઆઈ એ.ડી. ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. અંધારાનો લાભ લઈ જાહેરમાં દારૂ પીતા આ શખ્સોને સ્થાનિક નાગરિકે કેમેરામાં કેદ કરી લેતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. જાહેર રોડ પર દારૂના ગ્લાસ ભરી મહેફિલ જમાવીઘટનાની વિગત મુજબ, નોબલનગર ચાર રસ્તાથી ભદ્રેશ્વર તરફ જવાના માર્ગ પર એરપોર્ટની દિવાલ પાસે આવેલી ખુલ્લી જગ્યામાં ત્રણથી ચાર લોકો ગાડી ઉભી રાખીને દારૂના ગ્લાસ ભરીને બેઠા હતા. આ સમયે ત્યાંથી પસાર થતા એક જાગૃત નાગરિકે તેમનો વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. જ્યારે તે વ્યક્તિએ તેમને પૂછપરછ કરી, ત્યારે આ શખ્સો પોતાના મોઢા સંતાડીને દારૂના ગ્લાસ સાથે ત્યાંથી ભાગતા વીડિયોમાં કેદ થયા હતા. એરપોર્ટ પોલીસે બે યુવકોની અટકાયત કરીઆ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાઇરલ થતા જ પોલીસ હરકતમાં આવી હતી. એરપોર્ટ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે વીડિયો ફૂટેજ અને ટેકનિકલ સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. રાત્રિના સમયે જાહેરમાં નશો કરી કાયદાનું ઉલ્લંઘન કરનારા બે યુવકોને ઓળખી કાઢી તેમની અટકાયત કરવામાં આવી છે. દારૂબંધીના કાયદાનો ભંગ કરનારા સામે દાખલારૂપ કામગીરીપોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અન્ય સંડોવાયેલા વ્યક્તિઓની શોધખોળ શરૂ કરી છે. જાહેરમાં દારૂબંધીના કાયદાનો ભંગ કરનારા તત્વો સામે દાખલારૂપ કામગીરી કરી એરપોર્ટ પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સોશિયલ મીડિયા પર મળતી આવી ફરિયાદો સામે ત્વરિત પગલાં લેવામાં આવશે.
સુરત મહાનગર પાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને ઉમેદવારી ફોર્મ ભરવા માટે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે ટિકિટ વાંચ્છુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે સૌથી વધુ ચર્ચા શૌચાલય હયાતીના પ્રમાણપત્રની થઈ રહી છે. રસપ્રદ બાબત એ છે કે, હજુ અનેક બેઠકો પર રાજકીય પક્ષોએ ઉમેદવારોના નામ નક્કી નથી કર્યા છતાં ચૂંટણી લડવા ઈચ્છતા મુરતિયાઓએ અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 120 બેઠકોની સામે અનેકગણા લોકોએ આ દસ્તાવેજ મેળવી લીધોછેલ્લામાત્ર ત્રણ જ દિવસમાં સુરત મનપા દ્વારા કુલ 686 દાવેદારોને શૌચાલય હયાતીના પ્રમાણપત્રો ઈશ્યુ કરવામાં આવ્યા છે. આ આંકડા જોઈને આશ્ચર્યચકિત કરનારા છે કારણ કે, કુલ 120 બેઠકોની સામે અનેકગણા લોકોએ આ દસ્તાવેજ મેળવી લીધો છે. પ્રમાણપત્રો મેળવવામાં વરાછા ઝોન-એ સૌથી મોખરે રહ્યો છે, જ્યાં સૌથી વધુ 143 દાવેદારોએ પ્રમાણપત્ર મેળવ્યા છે. આ સિવાય કતારગામ ઝોનમાં 134 અને લિંબાયત ઝોનમાં 122 ઉમેદવારોએ આ પ્રક્રિયા પૂર્ણ કરી છે. અપક્ષ ઉમેદવારો વધુ પડતા ઊતરે એવી સંભાવનાઅન્ય ઝોનની વાત કરીએ તો ઉધના ઝોન-એમાં 94, રાંદેર ઝોનમાં 71, વરાછા ઝોન-બીમાં 61 અને સેન્ટ્રલ ઝોનમાં 30 પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે. જ્યારે ઉધના ઝોન-બીમાં 18 અને સૌથી ઓછા અઠવા ઝોનમાં માત્ર 13 પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે, વરાછા અને કતારગામ જેવા વિસ્તારોમાં ચૂંટણી લડવા માટે લોકોમાં ભારે ઉત્સાહ છે અને ત્યાંથી મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં ઉતરે એવી શક્યતા જણાઈ રહી છે. ટિકિટ મામલે હજુ પણ રાજકીય પક્ષોમાં અસમંજસરાજકીય પક્ષોની તૈયારીઓ પર નજર કરીએ તો, આગામી 11મી એપ્રિલના રોજ નામાંકન ભરવાની અંતિમ તારીખ છે. અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીએ અલગ-અલગ વોર્ડ માટે 78 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, જ્યારે કોંગ્રેસ દ્વારા ત્રણ દિવસ પૂર્વે 26 દાવેદારોની પસંદગી કરવામાં આવી હતી. બીજી તરફ, ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ મોડી રાત સુધીમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થવાની પૂરેપૂરી સંભાવના છે. હાલમાં તો સ્થિતિ એવી છે કે, રાજકીય પક્ષો કોને ટિકિટ આપશે તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ ચૂંટણી લડવાના અભરખા રાખતા લોકોએ વહીવટી પ્રક્રિયામાં કોઈ કચાશ ન રહે તે માટે 'શૌચાલયના પ્રમાણપત્રો' મેળવવા દોડધામ મચાવી દીધી છે.
બોટાદ જૈન સમાજની ભાજપ પ્રમુખને રજૂઆત:નગરપાલિકા ચૂંટણીમાં ટિકિટ ફાળવણી મુદ્દે ચર્ચા
બોટાદ સમસ્ત જૈન સમાજે નગરપાલિકા ચૂંટણીમાં ટિકિટ ફાળવણી મુદ્દે શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઈ પાટીવાળાને રજૂઆત કરી હતી. આ અંગે 9 એપ્રિલ, 2026ના રોજ સવારે 11 વાગ્યે શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિરની વાડી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દેરાવાસી, સ્થાનકવાસી અને દિગંબર જૈન સમાજના ટ્રસ્ટીઓ, કમિટી મેમ્બર્સ, આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં નગરપાલિકા ચૂંટણીમાં જૈન સમાજમાંથી ઉમેદવારી નોંધાવવા અને પક્ષ દ્વારા ટિકિટ ફાળવણી અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. જો જૈન સમાજના આગેવાનોને ટિકિટ નહીં મળે તો ચૂંટણીમાં નવાજૂની થવાના એંધાણની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી. જૈન સમાજના અગ્રણીઓએ ગુરુવારે બોટાદ શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઈ પાટીવાળાને રૂબરૂ બોલાવી રજૂઆત કરી હતી. તેમણે ચૂંટણી લડવા તૈયાર જૈન સમાજના સભ્યોની વિગતો અને બાયોડેટા કિરીટભાઈને સુપરત કર્યા હતા. આ ઉપરાંત, જૈન જ્ઞાતિને કાયમ થતા અન્યાય અને અન્ય વિવિધ સમસ્યાઓ અંગે પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું. કિરીટભાઈ પાટીવાળાએ જૈન સમાજ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા જણાવ્યું હતું કે તેઓ આ રજૂઆતોને ઉપરી સ્તરે પહોંચાડશે.
વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને અન્ય હોદ્દેદારો વિરુદ્ધ 2022માં ખેરગામ ખાતે નોંધાયેલા ગુનાઓની કાયદાકીય પ્રક્રિયા ઝડપી બની છે. નવસારીની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી રહેલી આ કાર્યવાહીમાં ડિસ્ચાર્જ અરજી પર 30 એપ્રિલે અંતિમ સુનાવણી થશે. કોર્ટે બચાવ પક્ષને વધુ રજૂઆત માટે સમય આપ્યો છે. વર્ષ 2022માં ખેરગામ પોલીસ સ્ટેશનમાં અનંત પટેલ અને કોંગ્રેસના હોદ્દેદાર ઝરણાબેન સહિતના અન્ય લોકો સામે ત્રણ અલગ-અલગ ગુનાઓ નોંધાયા હતા. આ ગુનાઓમાં દુકાનો સળગાવવી, તોફાનો કરવા, ફાયર બ્રિગેડની ગાડીમાં આગ લગાડવી અને પોલીસ ટીમ પર હુમલો કરવાનો સમાવેશ થાય છે. આ પૈકી બે કેસની ઇન્સાફી કાર્યવાહી હાલ નવસારી કોર્ટમાં ચાલી રહી છે. સરકારી વકીલ નયન સુખડવાલાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે આરોપીઓ તરફથી અગાઉ ડિસ્ચાર્જ અરજી આપવામાં આવી હતી, જેની સુનાવણી પણ થઈ હતી. જોકે, આજે આરોપીના વકીલે વધુ રજૂઆત માટે સમય માંગતા સરકારે તેનો સખત વિરોધ કર્યો હતો. સરકારી વકીલે જણાવ્યું કે, તમામ દસ્તાવેજો વંચાઈ ગયા હોવા છતાં સમય માંગવો એ માત્ર સમય બગાડવાની રણનીતિ છે. સરકાર પક્ષે આજે ફરિયાદ, પંચનામું અને અન્ય દસ્તાવેજી પુરાવા લેખિતમાં રજૂ કર્યા હતા. આ પુરાવાઓમાં અનંત પટેલ સહિતના આરોપીઓની સીધી સંડોવણી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બીજી તરફ, આરોપીઓના વકીલ પરેશ વટવીચાએ જણાવ્યું હતું કે, કોર્ટે ન્યાયના વિશાળ હિતમાં રજૂઆત માટે વધુ એક મુદત આપી છે. ડૉ. નીરવ પટેલની સપ્લિમેન્ટરી ચાર્જશીટ ખેરગામ કોર્ટથી સેશન્સ કોર્ટમાં આવતા તેની પણ મુદત આજે હતી. આ કેસમાં આગામી મહત્ત્વની તારીખો નીચે મુજબ છે: 24 એપ્રિલ: સપ્લિમેન્ટરી ચાર્જશીટમાં ડિસ્ચાર્જ અરજી આપવા માટેની મુદત. 30 એપ્રિલ: બંને કેસની ડિસ્ચાર્જ અરજી પર આખરી સુનાવણી. આજની કાર્યવાહી દરમિયાન બે આરોપીઓ ગેરહાજર જણાતા સરકારી વકીલે તેમની વિરુદ્ધ વોરંટ કાઢવાની તૈયારી દર્શાવી હતી. જોકે, અંતિમ તબક્કે ગેરહાજર આરોપીઓ કોર્ટમાં હાજર થઈ જતાં વોરંટની સ્થિતિ ટળી હતી. હવે સમગ્ર મામલે 30 એપ્રિલે થનારી સુનાવણી પર સૌની નજર રહેશે.
ગુજરાતનું રાજકારણ વર્ષોથી શ્રદ્ધા અને આસ્થા સાથે ગાઢ રીતે જોડાયેલું રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તેમના કેટલાક ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. જો કે ભાજપની એક પણ યાદી હજુ સુધી જાહેર થઈ નથી. ત્યારે કેટલાક નેતાઓમાં મંદિર માર્ગે રાજકારણની કેડી કંડારવાની હોડ જામી છે. ચૂંટણીમાં ટિકિટ મેળવવા અને પોતાની દાવેદારી મજબૂત કરવા માટે નેતાઓએ હવે ભક્તિનો સહારો લીધો છે. જ્યારે જેના નામની જાહેરાત થઇ ગઈ છે તેઓ બાધા પુરી કરવામાં લાગી ગયા છે. ગ્રહોની શાંતિ માટે 24 કલાક જાપ શરુ કરાવ્યાજે નેતાઓ સામાન્ય દિવસોમાં ભાગ્યે જ મંદિરોમાં જોવા મળતા હતા, તેઓ હવે મોટા પાયે યજ્ઞ, હવન અને ધાર્મિક અનુષ્ઠાનો કરાવી રહ્યા છે. રાજકીય મંચ ઉપર પોતાનું સ્થાન સુરક્ષિત કરાવવા માટે નેતાઓએ જ્યોતિષીઓનો પણ સહારો લઈ લીધો છે. કેટલાક નેતાઓ જાણીતા જ્યોતિષીઓ અને પંડિતોના માર્ગદર્શન હેઠળ ગ્રહદશા સુધારવા માટે ગુપ્ત પૂજા-પાઠ પણ કરાવી રહ્યા છે. વડોદરાના એક જ્યોતિષાચાર્યે જણાવ્યું હતું કે, હાલમાં અનેક એવા નેતાઓ છે કે જેઓ પોતાના માટે કે પોતાના પરિવારજન માટે ગ્રહદશા સુધારવા માટે મંત્ર જાપ કરાવી રહયા છે. કેટલાકે તો 24 કલાક મંત્રજાપ શરુ કરાવ્યા છે. ટિકિટ મેળવવા નેતાઓ ભગવાનના શરણેધર્મગુરુઓનો સીધો સંપર્ક ઉચ્ચ કક્ષાએ કરીને ભલામણો કરતા હોય છે. વડોદરાથી કેટલાક ધર્મગુરુઓ અન્ય ક્ષેત્રની પણ ટિકિટ નક્કી કરતા હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રાજકારણમાં હવે ધર્મગુરુઓ અને સંતોની ભૂમિકા પણ અત્યંત મહત્વની બની ગઈ છે. ટિકિટ મેળવવા માટે કેટલાક નેતાઓએ હવે સીધું લોબિંગ કરવાને બદલે ધર્મગુરુઓનો આશરો લીધો છે. વિવિધ સંપ્રદાયોના વડાઓ અને પ્રભાવશાળી સંતો મારફતે પક્ષના ટોચના નેતાઓ સુધી ભલામણો પહોંચાડવામાં આવી રહી છે. ધર્મગુરુઓ પાસે મોટો ભક્ત સમુદાય હોવાથી, રાજકીય પક્ષો પણ તેમના મંતવ્યોને અવગણી શકતા નથી. પરિણામે, ટિકિટ મેળવવા ઈચ્છુક નેતાઓ હવે મંદિરો અને આશ્રમોના પગથિયાં ઘસી રહ્યા છે. ધર્મગુરુઓનો પણ ક્વોટા હોય છે?સામાન્ય રીતે ચૂંટણી આવે એટલે ધારાસભ્ય, સાંસદ, જિલ્લા પ્રમુખ, પ્રભારી સહિતના લોકો પોતપોતાનો પક્ષ મૂકી પોતાના માનીતા ઉમેદવારોના નામ મૂકે છે. પ્રદેશ મોવડી મંડળ પણ તેઓએ આપેલા નામો ઉપર વિશેષ ધ્યાન આપે છે અને તેમાં લોબિંગ ચલાવતા પણ હોય છે. જો કે વર્ષોથી રાજકારણ અને ધર્મગુરુઓ વચ્ચે સેતુનું કામ કરતા એક વ્યક્તિએ નામ ન આપવાની શરતે એમ કહ્યું કે, ધર્મગુરુઓનો પણ ક્વોટા હોય છે. ધર્મગુરુઓ પોતાના સંપ્રદાયના માનીતા રાજકારણીઓના નામની ભલામણ કરે છે અને તેમાંથી ટિકિટ આપવા માટે દબાણ પણ થતું હોય છે. મોવડી મંડળમાં બેઠેલા વ્યક્તિ જે સંપ્રદાયમાં માનતા હોય તેનું વધારે ચાલતું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે વડોદરામાં કોણ કોને કેટલું ફાળે છે તે આવનારો સમય બતાવશે.
ગુજરાત પોલીસ દળના બાહોશ અધિકારી અને તાજેતરમાં જ IGP પદેથી રાજીનામું આપનાર મનોજ નિનામાએ આજે સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી કરી છે. શામળાજી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં રાજ્યના મંત્રી પી.સી. બરંડાની હાજરીમાં તેઓએ કેસરિયો ખેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે. બે દિવસ પહેલાં જ આપ્યું હતું રાજીનામું મનોજ નિનામા આગામી 31 મેના રોજ નિવૃત્ત થવાના હતા, પરંતુ તે પહેલા જ તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) સ્વીકારી લીધી હતી. રાજ્ય સરકારે તેમનું રાજીનામું મંજૂર કરતા જ તેઓ રાજકારણમાં જોડાશે તેવી અટકળો તેજ બની હતી, જેનો આજે અંત આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં તેમનું ભાજપમાં જોડાવું આદિવાસી પટ્ટાના રાજકારણમાં મહત્વનું માનવામાં આવે છે. આસારામ કેસ અને હરણીકાંડમાં ભજવી છે મુખ્ય ભૂમિકા મનોજ નિનામાની છબી એક પ્રામાણિક અને મક્કમ અધિકારી તરીકેની રહી છે. સરકારને જ્યારે પણ જટિલ તપાસની જરૂર પડી, ત્યારે નિનામા પર ભરોસો મૂકવામાં આવ્યો છે. આશ્રમ શાળાથી IPS સુધીની સંઘર્ષમય સફર અરવલ્લીના અંતરિયાળ જાબ ચિતરિયા ગામના વતની મનોજ નિનામાએ અત્યંત વિપરીત પરિસ્થિતિમાં અભ્યાસ કર્યો છે. રાજકારણમાં કેમ જોડાયા? ભાજપમાં જોડાયા બાદ નિનામાએ જણાવ્યું હતું કે, હવે તેઓ સમાજ પ્રત્યેની જવાબદારી અદા કરવા માંગે છે. શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં કામ કરવા માટે તેમને રાજકીય પ્લેટફોર્મની જરૂર જણાતા તેઓએ આ નિર્ણય લીધો છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં ભાજપ તેમને કઈ મહત્વની જવાબદારી સોંપે છે અથવા ચૂંટણીમાં ટિકિટ આપી મેદાનમાં ઉતારે છે. -- આ પણ વાંચો 'આસારામને જોધપુરથી અમદાવાદ લાવનાર જ હું' મનોજ નિનામા કોણ છે? તેમણે શું અભ્યાસ કર્યો? પરિવારમાં કોણ છે? પોલીસ અધિકારી તરીકેની કારકિર્દી દરમિયાન કયો કેસ યાદગાર રહ્યો? આ તમામ સવાલોના જવાબ મેળવવા દિવ્ય ભાસ્કરે તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. અમે જ્યારે તેમની સાથે વાત કરી ત્યારે તેઓ પોતાના વતનમાં હતા. સંપૂર્ણ અહેવાલ વાંચો…
ટર્બો ટ્રક સાથે બાઈક અથડાતાં યુવકનું મોત:પાટણ-ડીસા હાઇવે પર અકસ્માત, ટ્રક ચાલક સામે ફરિયાદ
પાટણ-ડીસા હાઇવે પર પાટણ નજીક આવેલા જાળેશ્વર પાલડી પાસે મોડી રાત્રે એક માર્ગ અકસ્માતમાં બાઇક ચાલક યુવકનું મૃત્યુ થયું હતું. પાટણ તરફથી ડીસા જઈ રહેલા ટર્બો ટ્રક સાથે જોડાયેલા કન્સ્ટ્રક્શન મશીન સાથે વામૈયા તરફથી પાટણ જઈ રહેલા બાઇક ચાલકની ટક્કર થઈ હતી. અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતાં યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા પાટણ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક યુવક સરસ્વતી તાલુકાના વામૈયા ગામનો આશરે 21 વર્ષીય ભમરસિંહ ભીખાસિંહ ઠાકોર હોવાનું જાણવા મળ્યું છે. ભમરસિંહ મોડી રાત્રે પોતાના ગામથી બાઇક લઈને પાટણ તરફ જઈ રહ્યો હતો, ત્યારે જાળેશ્વર પાલડી પાસે આ ઘટના બની હતી. ટ્રકની અડફેટે બાઇક ચાલક રોડ પર પટકાયો હતો, જેના કારણે તેને માથા અને કપાળના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. આ ઘટના અંગે મૃતકના કાકાએ સરસ્વતી પોલીસ મથકે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર, મૃતક ભમરસિંહની આઠ મહિના પહેલા સગાઈ થઈ હતી અને આગામી સમયમાં તેના લગ્ન પણ થવાના હતા.
શહેરના પૂર્વ વિસ્તારમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે. અમરાઈવાડી, જશોદાનગર, શાહઆલમ, ઇસનપુર અને વટવા વિસ્તારમાં ચોરીના બનાવો બન્યા છે. રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા ઘરમાંથી રોકડા રૂપિયા અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી છે. પાંચેય વિસ્તારમાં સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા સહિત 10 લાખના મુદ્દા માલની ચોરી થઈ છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. અમરાઈવાડીમાં બંધ ઘરમાંથી 6.28 લાખની ચોરીશહેરના અમરાઈવાડી વિસ્તારમાં શ્રીરામ રો હાઉસમાં રહેતા ભાવેશભાઈ જઈને અમરાવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, 7થી 8 એપ્રિલ દરમિયાન તેમનું મકાન બંધ હતું, ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ઘરનું લોક તોડી તેમાં રહેલા સોનાના દાગીના જમા મંગળસૂત્ર કાનની બુટ્ટી સોનાની વીંટી ચેન ચાંદીના કડા અને રોકડા રૂપિયા એક લાખ મળી 6.28 લાખ રૂપિયાની ચોરી કરી છે. અમરાઈવાડી પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. જશોદાનગરમાં દાગીના અને 1.90 લાખની ચોરી જશોદાનગર વિસ્તારમાં શિવાનંદ બંગલોઝમાં રહેતા ચંદ્રશેખર પોદ્દારે વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, 5 એપ્રિલથી 8 એપ્રિલ સુધીના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે અજાણ્યા વ્યક્તિઓ તેમના મકાનના રસોડાના દરવાજાનું લોક તોડી અને મકાનમાં પ્રવેશી બેડરૂમમાં તેમજ ઉપરના માળે રાખેલા તિજોરીના લોક તોડી સોના-ચાંદીના દાગીના મળી કુલ 1.90 લાખ રૂપિયાની ચોરી કરી લીધી હતી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શાહઆલમમાં દાગીના સહિતની લૂંટશાહઆલમ વિસ્તારમાં નાગોરીની ચાલીમાં રહેતા હલીમાં બીબી તલાટે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે 4 એપ્રિલથી 8 એપ્રિલ સુધીના સમયગાળા દરમિયાન અજાણ્યા વ્યક્તિએ ઘરનું તાળું તોડી તિજોરીમાં રહેલા રોકડા રૂ. 10 હજાર અને સોનાની બુટ્ટી તેમજ ચાંદીની ઝાંઝરી મળી 82 હજાર રૂપિયાની મતાની ચોરી કરી છે, જેને લઈને દાણીલીમડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. તમામ કેલમાં પોલીસે તપાસ શરૂ કરીજ્યારે વટવા વિસ્તારમાં સહારા ફ્લેટમાં રહેતા સકીનાખાતુન પઠાણે અથવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, 5 એપ્રિલના રોજ રાત્રે 9:00 વાગ્યાની આજુબાજુ વટવા મુરલીધર સોસાયટીની બાજુમાં આવેલી મહિમા જ્વેલર્સ નામની દુકાન પાસે ફૂટપાથ પર તેમની સોનાની બાલી અને જુમખીની દાગીના ભરેલી થેલીની વ્યક્તિ નજર ચૂકવીને ચોરી કરી જતો રહ્યો હતો. જ્યારે ઇસનપુર મિલનનગરમાં રજબ શેઠની ચાલીમાં રહેતા મહેબુબભાઇ સૈયદને મફતમાં સરકારી મકાન અને બીજી સરકારી યોજનાના ફોર્મ ભરવાનું જણાવી નજર ચૂકવી 35,000ની મત્તા ચોરી કરી તસ્કર ફરાર થઈ ગયો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ કરવામાં આવી છે.
અનંત અંબાણીએ દ્વારકામાં દ્વારકાધીશના ભક્તો માટે આધુનિક યાત્રિક ભવન બનાવવાની જાહેરાત કરી છે. આ ભવન ₹30 કરોડના ખર્ચે તૈયાર થશે. આ જાહેરાત અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે કરવામાં આવી હતી. રિલાયન્સ પરિવાર દ્વારા નિર્માણ પામનાર આ યાત્રિક ભવન તેમની ભક્તિ અને સેવાભાવનું પ્રતિક છે. દેવસ્થાન સમિતિના વહીવટીદાર હિમાંશુ ચૌહાણે અનંત અંબાણી અને રિલાયન્સ પરિવારના આ સેવાકાર્ય બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
ભારે ગરમી અને અકળામણ માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી આકરી આગાહી
Gujarat Weather Update: રાજ્યમાં ધીમે ધીમે ગરમી પોતાનો આકરો મિજાજ બતાવી રહી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે ગરમીને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક રહેશે અને આગામી દિવસોમાં તાપમાનમાં 4થી 5 ડિગ્રીનો નોંધપાત્ર વધારો જોવા મળશે. ત્રણ અલગ-અલગ સિસ્ટમ સક્રિય હાલમાં રાજ્યમાં હવામાનને અસર કરતી ત્રણ અલગ-અલગ સિસ્ટમ સક્રિય છે, જેના પરિણામે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવનો ફૂંકાશે. આ પવનો અને વધતા તાપમાનના કારણે ખાસ કરીને રાજ્યના તટીય વિસ્તારમાં લોકોને ભારે ગરમી અને અકળામણનો અનુભવ થશે.
વડોદરાના કારેલીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વેપારીએ આપઘાત કર્યો હોવાનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કાર એસેસરીઝનો વેપાર કરતા અને વેપારીએ 8 એપ્રિલની રાત્રે દુકાનમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવમાં વેપારીએ વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યો હોવાના પરિવારના આક્ષેપો છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. દુકાનમાં ગળેફાંસો ખાઈ વેપારીનો આપઘાતશહેરના હુજરત પાગા વિસ્તારમાં નીતિન શાહ કલકત્તા કાર એસેસરીઝ નામની દુકાન ચલાવતા હતા. જેમણે ગત રાત્રે પોતાની જ દુકાનમાં ગળેફાસો ખાઈ જીવંત ટૂંકાવ્યું હતું. આ બનાવને લઈ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહનો કબજો મેળવી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યો:મૃતકના ભાઈઆ બનાવ અંગે મૃતકના ભાઈ દીપેશ શાહે જણાવ્યું હતું કે, વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને મારા ભાઈએ આ પગલું ભર્યું છે. ખોટા હિસાબો માંગી કેટલાક લોકો વ્યાજ વસૂલવા માટે વારંવાર પરેશાન કરતા હતા. મૂડી સાથે વ્યાજ ચૂકવવા છતાં હજુ વ્યાજ માંગે છે. કેટલાક વ્યક્તિઓએ વ્યાજ માટે પઠાણી ઉઘરાણી કરતા તમામ વ્યક્તિઓના નામ પણ મે પોલીસને આપ્યા છે. પોલીસ કમિશનરને મારી વિનંતી છે કે આ વ્યાજખોર સામે કડક પગલા ભરવામાં આવે. આ મામલે કારેલીબાગ પોલીસ મથકના તપાસ અધિકારીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, હાલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે અને અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પરિવારના આક્ષેપોની પણ તપાસ કરવામાં આવશે.
રાજ્યની માથે મંડરાઈ રહેલી માવઠાની ઘાત હાલમાં ટળી છે. હવે રાજ્યમાં લોકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક બાદ એટલે કે આવતીકાલથી રાજ્યમાં ગરમીનો પારો 2થી 4 ડિગ્રી વધશે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકવાને કારણે અકળામણ અનુભવાશે. તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધારો થશે. પવનની ગતિ હમણાં નોર્મલ રહેશે11થી 14 એપ્રિલ સુધી વાતાવરણ શુષ્ક રહેશે. કોસ્ટલ ક્ષેત્રમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. હાલ રાજ્યમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી આસપાસ રહેશે. છેલ્લા 24 કલાકમાં અમરેલીમાં 36.7 સૌથી વધુ તાપમાન નોંધાયુ. અમદાવાદમાં 36.6 અને ગાંધીનગર 35.4 ડિગ્રી તાપમાન નોંધાયું. હાલ ત્રણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. પવનની ગતિ હમણાં નોર્મલ રહેશે. આગામી દિવસોમાં વરસાદને લઈને કોઈ પ્રકારની આગાહી કરવામાં આવી નથી.
આજે સમગ્ર વિશ્વમાં જૈન સમુદાય દ્વારા 'વર્લ્ડ નવકાર ડે' એટલે કે વિશ્વ નવકાર દિવસની અત્યંત ઉત્સાહ અને આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ પવિત્ર અવસરે જૂનાગઢ સહિત વિશ્વભરમાં વસતા લાખો જૈન ધર્મીઓ એકત્ર થઈને નવકાર મહામંત્રના સામૂહિક જાપ કરી રહ્યા છે. જૈન ધર્મ એ વ્યક્તિ પૂજાને બદલે ગુણ પૂજામાં માનનારો ધર્મ છે, જેમાં આત્માના ઉચ્ચ ગુણોને વંદન કરવામાં આવે છે. વર્તમાનમાં જ્યારે વિશ્વ યુદ્ધ અને અશાંતિના કપરા કાળમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે મંત્ર શક્તિ દ્વારા પરમાણુઓમાં હકારાત્મકતા ફેલાવી માનવજાતના કલ્યાણ અને કાયમી શાંતિ માટે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢ જૈન સમાજના અગ્રણી હિતેશ સંઘવીએ આ પવિત્ર દિવસની મહત્તા સમજાવતા જણાવ્યું કે જૈન ધર્મ એ ગુણગ્રાહી ધર્મ છે. નવકાર મંત્રમાં કોઈ એક ચોક્કસ વ્યક્તિ કે ભગવાનની વાત નથી, પરંતુ એવા તમામ મહાપુરુષોને વંદન કરવામાં આવે છે જેમણે પોતાના આંતરિક શત્રુઓ—રાગ અને દ્વેષ—પર પૂર્ણ વિજય મેળવ્યો છે. મંત્રના પ્રથમ પદ 'નમો અરિહંતાણં' નો અર્થ છે કે જે આત્માઓએ આત્મવિજય મેળવ્યો છે તે તમામ આદરણીય છે, પછી તે શ્રી રામ, શ્રી કૃષ્ણ કે ભગવાન શિવ હોય. આ મંત્રની વ્યાપકતા જ તેની સૌથી મોટી શક્તિ છે, જે કોઈપણ ભેદભાવ વગર માત્ર સિદ્ધિ અને પવિત્રતાને નમસ્કાર કરે છે. નવકાર મંત્રના બીજા પદ 'નમો સિદ્ધાણં' વિશે વાત કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે આમાં માત્ર મહાવીર સ્વામી જ નહીં, પરંતુ અનંત આત્માઓ જેઓ સંસારના બંધનોમાંથી મુક્ત થઈ સિદ્ધ થયા છે, તે દરેકને નમસ્કાર કરવામાં આવ્યા છે. જૈન દર્શન મુજબ મંત્રના પાંચ પદો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યમાં થઈ ગયેલા તમામ ગુણવાન પુરુષોને વંદન કરવાનો એક પવિત્ર અવસર પૂરો પાડે છે. આ મંત્રના જાપથી માત્ર વ્યક્તિગત શાંતિ જ નહીં, પરંતુ વાતાવરણમાં શુદ્ધિનો સંચાર થાય છે, જે આજના અશાંત યુગમાં અત્યંત અનિવાર્ય છે. વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણ માટે મંગલ ભાવના આજના સમયમાં જ્યારે દુનિયા ભયાનક સંઘર્ષો અને યુદ્ધોની પીડા ભોગવી રહી છે, ત્યારે નવકાર મંત્રના જાપ એક આશાનું કિરણ બનીને ઉભર્યા છે. મંત્ર શક્તિના પ્રભાવ અને તેની સકારાત્મક ઉર્જાથી જ કદાચ વર્તમાન યુદ્ધોમાં આંશિક વિરામ આવ્યો હોય તેવી શ્રદ્ધા જૈન સમાજ ધરાવે છે. લાખો નિર્દોષ લોકોના જીવ બચે અને પેટ્રોલ-ડીઝલ જેવી પાયાની જરૂરિયાતોની અછતથી સર્જાતી મોંઘવારી તેમજ પીડા ઓછી થાય તે માટે આ જાપ અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે. 15 દિવસનો જે યુદ્ધ વિરામ થયો છે તે માત્ર હંગામી ન રહેતા કાયમી શાંતિમાં ફેરવાય તેવી ઉમદા ભાવના આ આયોજન પાછળ રહેલી છે. જૂનાગઢમાં પણ આ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા જલારામ સોસાયટી ઉપાશ્રય ખાતે સમૂહમાં નવકાર મહામંત્રના જાપનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ શુદ્ધ ભાવનાથી મંત્ર જાપ કર્યા હતા,આ આયોજનનો મુખ્ય હેતુ મંત્રના પવિત્ર પરમાણુઓ દ્વારા સમગ્ર વિશ્વમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિના ફેલાવવાનો છે.
ચોમાસાની આગામી સીઝનને ધ્યાનમાં રાખીને ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના તમામ જર્જરિત મકાનો અને મિલકતોના માલિકો માટે જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે, જેમાં ભારે વરસાદ કે અન્ય કારણોસર આવી મિલકતો ધરાશાયી થવાથી જાન-માલનું નુકસાન ન થાય તે હેતુથી તંત્રએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે, આ અંગે મનપાના એસ્ટેટ વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ જે મિલકતો અત્યંત જર્જરિત હાલતમાં છે, તેના માલિકો કે ભોગવટો કરનારાઓએ તાત્કાલિક તે મિલકત ઉતારી લેવી, સુરક્ષિત કરવી અથવા જરૂરી મરામત કરાવી ભયમુક્ત કરવાની રહેશે, 15 વર્ષ કે તેથી વધુ જૂના ફ્લેટ અને કોમ્પ્લેક્સ પ્રકારની તમામ મિલકતોના માલિકોએ લાયસન્સ ધરાવતા સ્ટ્રક્ચર એન્જિનિયર પાસે 'સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ચેક' કરાવીને તેનો રિપોર્ટ દિન-15 માં એસ્ટેટ વિભાગમાં રજૂ કરવાનો રહેશે, જો નિર્ધારિત સમય મર્યાદામાં જરૂરી કાર્યવાહી કરવામાં નહીં આવે અને કોઈ આકસ્મિક ઘટના કે જાનહાનિ થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી જે-તે મિલકત માલિકની રહેશે, મહાનગરપાલિકાએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, સૂચનાનું પાલન ન કરનાર બિલ્ડિંગોના નળ (પાણી), ગટર અને વીજ કનેક્શન તાત્કાલિક અસરથી કાપી નાખવામાં આવશે..
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતી પરિણીતાને પતિ અને સાસરીયાઓ વિરુદ્ધ શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. પતિ તથા સાસરીયાઓ દ્વારા વારંવાર દહેજ પેટે પૈસા લાવવા માટે દબાણ કરવામાં આવતું હતું. યુવતી ગર્ભવતી થયા બાદ પણ સાસરીયાઓએ દીકરાની માંગણી કરી હતી અને દીકરી જન્મતા અસંતોષ વ્યક્ત કર્યો હતો. જો દીકરો નહીં જન્મે તો પતિ બીજા લગ્ન કરશે તેવી ધમકી પણ આપતા હતા. જેથી પરિણીતાએ પતિ તથા સાસરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતી મહિલાએ જે પી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેના લગ્ન 24 જાન્યુઆરી 2022ના રોજ અંકલેશ્વરના યુવક સાથે ઈસ્લામિક રીતરિવાજ મુજબ થયા હતા. લગ્નના શરૂઆતના 4 મહિનામાં ઘરેલુ જીવન સામાન્ય રહ્યું હતું, પરંતુ ત્યારબાદ સાસુ, જેઠાણી અને નણંદ દ્વારા ઘરકામ બાબતે વારંવાર મેણાં ટોણાં મારવામાં આવતા અને અપમાન કરવામાં આવતું હતું. તેને ઘરકામમાં ખામીઓ કાઢીને અપમાનિત કરવામાં આવતી તેમજ પગ દબાવવા જેવી બાબતો માટે દબાણ કરવામાં આવતું હતું. આ ઉપરાંત પતિ દ્વારા પણ પત્નીનો સાથ આપવાના બદલે સાસરીયાઓનો પક્ષ લેવાતો હતો અને વારંવાર દહેજ પેટે પૈસા લાવવા માટે દબાણ કરવામાં આવતું હતું. યુવતી ગર્ભવતી થયા બાદ પણ સાસરીયાઓએ દીકરાની માંગણી કરી હતી અને દીકરી જન્મતા અસંતોષ વ્યક્ત કર્યો હતો. તા.9 જાન્યુઆરી 2023ના રોજ વડોદરાની હોસ્પિટલમાં દીકરીનો જન્મ થયો હતો, છતાં સાસરીયાઓએ દીકરીને સ્વીકારવા બદલે યુવતીને અપમાનિત કરી હતી. જો દીકરો નહીં થાય તો પતિના બીજા લગ્ન કરવામાં આવશે ત્યારબાદ યુવતી પર વારંવાર દબાણ કરવામાં આવતું હતું. યુવતીએ વધુમાં જણાવ્યું છે કે સાસરીમાં રહેવા દરમિયાન તેના પર અનેક વખત શારીરિક હુમલા કરવામાં આવ્યા હતા. એક ઘટનામાં સાસુ, સસરા, પતિ અને સાસરીયાઓ મળીને યુવતીને માર માર્યો હતો તેમજ ગળું દબાવી જાનથી મારી નાખવાની કોશિશ પણ કરી હતી. પતિ દ્વારા જબરદસ્તી કોઈ દ્રવ્ય પીવડાવ્યાનો પણ આરોપ છે. આ બધાની વચ્ચે યુવતીને ઘરમાંથી કાઢી મુકવામાં આવી હતી. હાલ યુવતી માતા-પિતાના ઘરે રહે છે અને તેની દીકરી સાસરીયાઓ પાસે છે. આ મામલે યુવતીએ અગાઉ જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને કોર્ટ કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ સમાધાન ન થતા હવે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે. યુવતીએ પોતાના પતિ, સાસુ, સસરા, જેઠ, જેઠાણી અને નણંદ વિરુદ્ધ દહેજની માંગણી, શારીરિક તથા માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકીના આરોપો લગાવીને કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ તેમજ એક નગરપાલિકાના એક વોર્ડની પેટાચૂંટણી માટે EVMની ફાળવણી પૂર્ણ થઈ ગઈ છે. કુલ 15 ટકા રિઝર્વ EVM (10 ટકા રિઝર્વ અને 5 ટકા નિદર્શન માટે) સાથે જિલ્લા મથક હિંમતનગરથી દરેક તાલુકા મથકે મશીનો મોકલી દેવાયા છે. જિલ્લા ચૂંટણી વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ છે. ત્યારબાદ ચકાસણી અને ઉમેદવારી પત્રો પરત ખેંચવાની પ્રક્રિયા બાદ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે. 26 એપ્રિલે મતદાન થશે અને 28 એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ માટે જિલ્લામાં ચૂંટણી વિભાગ દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. હિંમતનગરથી EVM સુરક્ષિત રીતે ટ્રકના કન્ટેનરમાં મૂકીને તાલુકા મથકોએ પહોંચાડી દેવાયા છે. સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરથી હિંમતનગર, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના, વિજયનગર, તલોદ અને પ્રાંતિજ તાલુકા પંચાયતની 170 બેઠકો અને જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે EVMની ફાળવણી કરાઈ છે. જિલ્લામાં કુલ 1210 મતદાન મથકો પર 2420 કંટ્રોલ યુનિટ (CU) અને બેલેટ યુનિટ (BU) ફાળવાયા છે. જેમાં 10 ટકા રિઝર્વ અને 5 ટકા નિદર્શનના મળી કુલ 363 CU અને BUનો સમાવેશ થાય છે, આમ કુલ 2783 CU અને BUની ફાળવણી થઈ છે. આ ઉપરાંત, હિંમતનગર, વડાલી અને ઇડર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ તેમજ પ્રાંતિજ નગરપાલિકાના એક વોર્ડની પેટાચૂંટણી માટે પણ EVM ફાળવાયા છે. 26 વોર્ડની 96 બેઠકો માટે 137 મતદાન મથકો પર 137 CU અને 274 BU ફાળવવામાં આવ્યા છે. 15 ટકા રિઝર્વમાં 22 CU અને 43 BUનો સમાવેશ થાય છે, જેથી કુલ 159 CU અને 317 BUની ફાળવણી કરવામાં આવી છે.
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત વર્ષ 2026- 27 માટે સ્વનિર્ભર શાળાઓની 25 ટકા બેઠક વિદ્યાર્થીઓને પ્રવેશ માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલી રહી છે. જે માટે 17 એપ્રિલ સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સામાન્ય અને મધ્યમ વર્ગના વાલીઓ પોતાના બાળકોને RTE હેઠળ એડમિશન અપાવવા માટે રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. જેથી ફોર્મ ભરતા સમયે વાલીઓને કોઈ હાલાકી ન પડે તે માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં મોટી સંખ્યામાં વાલીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. માર્ગદર્શન આપવા માટે DEO કચેરીની ટીમ અને શિક્ષકોને રાખવામાં આવ્યા છે. શહેરની 14,177 બેઠક પર RTE હેઠળ પ્રવેશ અપાશે અમદાવાદ શહેરની 1,343 સ્વનિર્ભર શાળાઓમાં 25 ટકા જેટલી સીટ પર એટલે કે 14,177 બેઠક પર RTE હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. RTE હેઠળ પ્રવેશ માટે 6 લાખની આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેથી 6 લાખથી ઓછી આવક ધરાવતા વાલીઓના બાળકોને RTE હેઠળ પ્રવેશ આપવામાં આવતો હોય છે. જે બાળકો સ્વનિર્ભર શાળામાં ધોરણ 1થી 8 સુધી મફત શિક્ષણ લઈ શકે છે. જેથી મોટી સંખ્યામાં વાલીઓ પોતાના બાળકોને RTE હેઠળ પ્રવેશ અપાવવા માટે મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. 79279 12966 હેલ્પ લાઇન નંબરથી પણ માર્ગદર્શનવાલીઓએ ઓનલાઈન ફોર્મ ભરવાનું હોવાથી ઘણી વખત તેમાં અનેક ખામીઓ રહી જતી હોય છે. જે હાલાકી ન પડે તે માટે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. RTE માટે ડોક્યુમેન્ટ કયાંથી મેળવવા ? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની સમસ્યાઓ વાલીઓને થતી હોય છે. જેથી તેમને પૂરતી માહિતી મળી રહે તે રીતે મદદ કરવામાં આવી રહી છે. જ્યાં રોજના 100 વાલીઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. સૌથી વધુ જાતિના દાખલા, આવક દાખલા અને ડોક્યુમેન્ટ માટેની માહિતી વાલીઓ મેળવી રહ્યા છે. તેમજ હેલ્પ લાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. જેથી વાલીઓ 79279 12966 હેલ્પ લાઇન નંબર પર ફોન કરી માર્ગદર્શન લઈ શકશે.
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મેયર ધર્મેશભાઈ પોસીયાના અધ્યક્ષસ્થાને આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં સફાઈ કર્મચારીઓ અને આંગણવાડી કાર્યકરો માટે લોકકલ્યાણકારી નિર્ણયોનો અમલ કરવામાં આવ્યો છે. વર્ષો જૂની પડતર માંગણીઓ સંતોષાતા 43 સફાઈ કામદારોને કાયમી નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે, જેની સાથે જ વાલ્મિકી સમાજમાં ભારે ખુશીની લહેર જોવા મળી રહી છે. આ ઉપરાંત ટેકનોલોજી અને પ્રોત્સાહન ક્ષેત્રે પણ મહત્વના વિતરણો દ્વારા પાલિકાએ શ્રમજીવી વર્ગની સરાહનીય કામગીરીને બિરદાવી છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ અને નાગરિકોની સુખાકારીમાં પાયાનું યોગદાન આપનારા સફાઈ મિત્રો અને આંગણવાડી કાર્યકરો માટે એક ઐતિહાસિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય, ડેપ્યુટી મેયર, કમિશનર સહિતના મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી. શહેરના પ્રથમ નાગરિક અને મેયર ધર્મેશભાઈ પોસીયાએ જણાવ્યું હતું કે વહીવટી તંત્ર દ્વારા કર્મચારીઓના હિતને હંમેશા પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જે અંતર્ગત વર્ષોથી રોજમદાર તરીકે ફરજ બજાવતા 43 જેટલા સફાઈ કામદારોને કાયમી કરવાના ઓર્ડર વિધિવત રીતે એનાયત કરવામાં આવ્યા હતા. આ નિર્ણય માત્ર એક સરકારી પ્રક્રિયા નથી પરંતુ અનેક પરિવારોના જીવનમાં આર્થિક સ્થિરતા અને સામાજિક સુરક્ષા લાવનારું કદમ સાબિત થયું છે. સફાઈ કર્મચારી યુનિયનના અગ્રણીઓએ આ તકે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમની લાંબા સમયની લડતનો સુખદ અંત આવ્યો છે. યુનિયન દ્વારા આઠથી દસ વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી, જેમાંથી વહીવટી તંત્રએ સંવેદનશીલ અભિગમ દાખવીને મુખ્ય ચાર માંગણીઓનો તાત્કાલિક સ્વીકાર કર્યો છે. આ માંગણીઓમાં રોજમદારોને કાયમી કરવા ઉપરાંત, સખી મંડળની બહેનોને લેબર લો મુજબ વેતન આપવાની બાબત પણ સામેલ છે. વધુમાં, કર્મચારીઓને 10, 20 અને 30 વર્ષના ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે. હવેથી તમામ કર્મચારીઓને લેબર લોના ધારાધોરણ મુજબ પીએફ અને ઈએસઆઈના લાભો પણ મળતા થશે, જેનાથી કર્મચારીઓના ભવિષ્યની સુરક્ષા સુનિશ્ચિત થઈ છે. શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે દિવસ-રાત એક કરનારા કર્મચારીઓની કામગીરીની કદર રૂપે મહાનગરપાલિકા દ્વારા પ્રોત્સાહક યોજનાઓનો પણ અમલ કરવામાં આવ્યો હતો. વોર્ડ નંબર 1 થી 15 માં જે કર્મચારીઓએ પોતાની ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે, તેવા દરેક વોર્ડના ત્રણ કર્મચારીઓ મળી કુલ 45 સફાઈ કામદારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દરેક કર્મચારીને 10,000 રૂપિયાના પ્રોત્સાહક ચેકનું વિતરણ કરીને તેમને વધુ સારી કામગીરી કરવા માટે પ્રેરિત કરાયા હતા. આ ઉપરાંત, રસ્તા પર સફાઈ કામગીરી કરતા 34 જેટલા સફાઈ મિત્રોને આધુનિક 'વેસ્ટ પિકર કિટ' પૂરી પાડવામાં આવી છે. આ કિટના માધ્યમથી તેઓ સ્વાસ્થ્યપ્રદ અને વધુ સુવિધાજનક રીતે સફાઈ કાર્ય કરી શકશે, જે તેમના શારીરિક શ્રમમાં ઘટાડો કરશે. માત્ર સફાઈ ક્ષેત્રે જ નહીં, પરંતુ શિક્ષણ અને સ્વાસ્થ્યના પાયાના સ્તરે કાર્યરત આંગણવાડીની બહેનો માટે પણ આ કાર્યક્રમ મહત્વનો રહ્યો હતો. ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સાર્થક કરવાના ભાગરૂપે જૂનાગઢ શહેરની 179 જેટલી આંગણવાડી કાર્યકર બહેનોને અત્યાધુનિક સ્માર્ટફોનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સ્માર્ટફોનની મદદથી આંગણવાડીની કામગીરી વધુ પારદર્શક, ઝડપી અને પેપરલેસ બનશે. ટેકનોલોજીના આ માધ્યમથી બહેનો બાળકોના પોષણ અને વિકાસ અંગેની માહિતીનો ડેટા ઓનલાઇન અપલોડ કરી શકશે, જે સરકારી યોજનાઓના સચોટ અમલીકરણમાં મદદરૂપ થશે. સ્માર્ટફોન મળતા આંગણવાડીની બહેનોમાં પણ વહીવટી તંત્ર પ્રત્યે આભારની લાગણી જોવા મળી હતી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વાલ્મિકી સમાજમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ છવાયો હતો. વર્ષોની પ્રતીક્ષા બાદ કાયમી નોકરી મળતા કામદારોએ આ ક્ષણને દિવાળીના તહેવાર જેવી ગણાવી હતી. આ ઐતિહાસિક નિર્ણયો બદલ યુનિયનના સભ્યો અને સફાઈ કર્મચારીઓએ રાજ્યના પ્રદેશ પ્રમુખ, શહેર પ્રમુખ, સ્થાનિક ધારાસભ્ય, સાંસદ સભ્ય તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમ જૂનાગઢના શ્રમિક વર્ગના સશક્તિકરણ માટે એક મહત્વનું માઈલસ્ટોન સાબિત થયો છે, જેમાં આર્થિક અને ટેકનિકલ એમ બંને પાસાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના આ માનવીય અભિગમથી શહેરના સેવકોમાં નવી ઉર્જાનો સંચાર થયો છે.
પાલનપુર પાલિકા ચૂંટણી: ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત:કોંગ્રેસ અને AAPના ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા
બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે. જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પ્રક્રિયા અંતર્ગત આજે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવારોએ પોતાના ફોર્મ રજૂ કર્યા હતા. પાલનપુર પાલિકાના વોર્ડ નંબર એકમાંથી કોંગ્રેસના ઉમેદવાર રાજુભાઈ ઝાલાએ પાલનપુર પ્રાંત કચેરીમાં પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું. આમ આદમી પાર્ટી (AAP) તરફથી વોર્ડ નંબર ત્રણમાં દીપકકુમાર વૈષ્ણવે પોતાનું ઉમેદવારી ફોર્મ જમા કરાવ્યું હતું. જોકે આ અંગે રાજુભાઈ ઝાલા વોર્ડ નં 1 માં કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવી કહ્યું હતું કે 'પબ્લિકની જે માંગણી હતી, માણસોએ મને કીધું કે 'તમે રાજુભાઈ આ વખતે ફોર્મ ભરો, અમે તમને પૂરેપૂરી સહાયતા કરીશું અને તમે જીતીને આવો અને અમારું કામ કરો' એ માટે ફોર્મ ભરવા આવ્યું છું. જે વોર્ડ નંબર 1માં જે સમસ્યાઓ છે એનાથી લોકો ત્રાસી ગયેલા છે. આ છેલ્લા 20 વર્ષથી અમારા એરિયાની અંદર, 20 વર્ષથી આ તકલીફ છે. પાર્ટી જોડે મેન્ડેટની જાહેરાત કરશે પછી મેન્ડેટ આપશે. અત્યારે તો પાર્ટીએ કીધું એ અનુસાર અમે ફોર્મ ભરી દીધું છે.' આમ આદમી પાર્ટીને પાલિકા વોર્ડ ન 3 ઉમેદવારી કરનાર વૈષ્ણવ દીપકકુમાર પ્રવીણચંદ્ર એ જણાવ્યું હતું કે, ‘વોર્ડ નંબર 3 ની ઉભો રહ્યો છું, અને જે પણ કામ બાકી છે એ હું કરીશ.’
ભરૂચ જિલ્લામાં આગામી 26 એપ્રિલે યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીઓ તેજ બની છે. આ અંતર્ગત, ભરૂચની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે પોલિંગ ઓફિસરો અને આસિસ્ટન્ટ પોલિંગ ઓફિસરો માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમ બે સેશનમાં યોજાયો હતો. જેમાં અંદાજે 600 જેટલા પોલિંગ સ્ટાફે ભાગ લીધો અને જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું. પ્રથમ સેશન સવારે 11થી 1 દરમિયાન યોજાયું હતું, જ્યારે બીજું સેશન બપોરે 3થી 5 દરમિયાન યોજાનાર છે. તાલીમ દરમિયાન, પોલિંગ ઓફિસરોને મતદાન મથક પર કરવાની વિવિધ કામગીરી અંગે વિગતવાર સમજણ આપવામાં આવી હતી. તેમને ઈવીએમ મશીનના યોગ્ય ઉપયોગ અને મતદાન પ્રક્રિયા દરમિયાન અનુસરવાની માર્ગદર્શિકાઓ વિશે પ્રાયોગિક માહિતી પણ અપાઈ હતી. વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી પારદર્શક અને સુચારુ રીતે યોજાય તે સુનિશ્ચિત કરવા આવા તાલીમ કાર્યક્રમોને મહત્વ આપવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે ભરૂચ શહેર મામલતદાર નિકુંજ સાલવેએ તમામ મતદારોને 26 એપ્રિલે સવારે 7થી સાંજના 6 વાગ્યા દરમિયાન પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.

28 C