આજે 2 એપ્રિલના શહેરના કષ્ટભંજન બાલાજી હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અહીં હનુમાન દાદાની મહાનીરાજનમ આરતીમાં 2000 થી વધુ ભક્તજનો દર્શન માટે ઉમટી પડ્યા હતા. આ દરમિયાન બાળકોથી લઈ યુવાનો, મહિલાઓ અને વડીલોએ કષ્ટભંજન દેવની આરાધના કરી હતી. જે બાદ હેપ્પી બર્થ ડે લખેલી હનુમાનજીની ગદા સાથેની વિશાળ કેકનું કટીંગ કરવામાં આવ્યુ હતુ. શહેરમાં 3000 થી વધુ જગ્યાએ હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં ભક્તો બુંદી અને ગાંઠિયાનો પ્રસાદ ગ્રહણ કરશે. રાજકોટના બાલાજી હનુમાનજી મંદિરના કોઠારી વિવેક સાગર સ્વામીએ જણાવ્યું હતું કે, હનુમાન જયંતિનો ઉત્સવ પુરા ભારત વર્ષમાં જ નહીં પરંતુ વિશ્વમાં ધામધૂમથી ઉજવાતો હોય છે. આજે બાલાજી હનુમાનજી મંદિરે સવારે દિવ્ય આરતી કરવામાં આવી હતી. જ્યારે બપોરે હનુમાન દાદાની મહાનીરાજનમ આરતી અને કેક કટીંગ કરવામાં આવી હતી. બપોર બાદ 108 કુંડી યજ્ઞનું આયોજન કરાયું છે. જ્યારે સાંજે પણ મહાનીરાજનમ આરતી યોજાશે. રાત્રે 8 થી 11.30 વાગ્યા સુધી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જે બાદ રાત્રિના સમયે ખૂબ જ ભવ્યતાથી હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવશે. શહેરના ભાવિકજનો આ તમામ પ્રસંગોનો લાભ લે તેવું આમંત્રણ છે. આ દરમિયાન બાલાજી હનુમાનજી મંદિરે દર્શન માટે આવેલા આશિકા રૂપાપરાએ જણાવ્યું હતું કે, હનુમાન જયંતીના દિવસે લોકો હનુમાનજીની સેવા પૂજા અને અર્ચના કરે છે. જેથી આ પ્રસંગે હું મારા બાળકને હનુમાનજી બનાવીને અહીં બાલાજી મંદિરે દર્શન માટે લઈ આવી છું. લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે મોટી સંખ્યામાં ભક્તજનો અહીં જોડાયા છે. અહીં હનુમાનજી દાદાના જન્મદિવસના અનુલક્ષીને કેક કટીંગ કરવામાં આવી હતી. જેથી અહીં ભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.
સુરત શહેરના ઉમરા વિસ્તારમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનની સતર્કતા અને માનવીય અભિગમને કારણે એક અસહાય મહિલાનું તેના પરિવાર સાથે સુખદ પુનઃમિલન શક્ય બન્યું છે. ભટકતી હાલતમાં મળી આવી મહિલા અલથાણ વિસ્તારમાં અંદાજે 35 વર્ષીય એક મહિલા અસહાય અને ભટકતી હાલતમાં હોવાની જાણ એક જાગૃત નાગરિકે 181 અભયમ ટીમને કરી હતી. આ મહિલા કોઈની પણ સાથે વાતચીત કરી શકવાની સ્થિતિમાં નહોતી. માહિતી મળતાની સાથે જ અભયમની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મહિલા સાથે સંવેદનશીલતાથી વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે મહિલા કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી, પરંતુ તે પોતાનું ચોક્કસ સરનામું જણાવી શકતી નહોતી. પરિવારની શોધ અને પરામર્શ સ્થાનિક પૂછપરછના આધારે અભયમ ટીમે મહિલાના પતિ અને ત્યારબાદ તેની માતાનો સંપર્ક કર્યો હતો. માતાએ જણાવ્યું કે મહિલાની માનસિક સ્થિતિ સારી ન હોવાથી તે અચાનક ઘરેથી નીકળી ગઈ હતી. મહિલાને 5 સંતાનો છે અને તેનો પતિ મજૂરી કામ માટે બહાર ગયો હતો. અભયમ ટીમે સલામત રીતે મહિલાને તેના પિયર પહોંચાડી પરિવારને સોંપી હતી. જવાબદારી અને સારવારની સમજ માત્ર પુનઃમિલન જ નહીં, પરંતુ ટીમે પરિવારનું અસરકારક કાઉન્સેલિંગ પણ કર્યું હતું. ટીમે સમજાવ્યું કે મહિલાની માનસિક સ્થિતિને જોતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અપાવવી જરૂરી છે. પરિવારને મહિલા પ્રત્યે સકારાત્મક અને સંવેદનશીલ વર્તન રાખવાની તેમજ કાયદાકીય પાસાઓ ધ્યાને રાખી જવાબદારી નિભાવવાની સૂચના આપી હતી. અંતે, પરિવારે 181 ટીમની આ સેવાની સરાહના કરી આભાર માન્યો હતો.
અમદાવાદના થલતેજ ટેકરા નજીક, દુરદર્શન ચાર રસ્તા પાસે આવેલું અંજની માતા હનુમાનજી મંદિર આજે ભક્તિમય માહોલમાં રંગાયું છે. રાજ્યના આ એકમાત્ર અનોખા મંદિરમાં આજે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બનેલા આ મંદિરને આજે સવારથી જ મનમોહક ફૂલોથી શણગારવામાં આવ્યું છે. મહંત વિજયદાસજી મહારાજની નિશ્રામાં પરંપરાગત રીતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રાજભા ગઢવીના ડાયરાની જામશે જમાવટઆ વર્ષની ઉજવણીની વિશેષતા એ છે કે, જન્મોત્સવની સંધ્યાએ મંદિરના પ્રાંગણમાં લોકપ્રિય કલાકાર રાજભા ગઢવી દ્વારા ભવ્ય સંતવાણી અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે અહીં ગુજરાતના નામાંકિત કલાકારો દ્વારા ભજન-કીર્તનની પ્રસ્તુતિ કરવામાં આવે છે, જેનો હજારો ભાવિકો લાભ લેતા હોય છે. દિવસભરના ધાર્મિક કાર્યક્રમોનું શિડ્યુલહનુમાન જન્મોત્સવ નિમિત્તે વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિનો ધોધ વહી રહ્યો છે. કાર્યક્રમોની વિગત નીચે મુજબ છે: 04:00 વાગ્યે: હનુમાનજી મહારાજનો અભિષેક 06:00 વાગ્યે: મંગળા આરતી 08:00 વાગ્યે: મારુતિ હવન 11:00 વાગ્યે: ધ્વજા રોહણ 12:30 વાગે: શ્રીફળ હોમવાની વિધિ 06:30 વાગ્યે: સંધ્યા આરતી 07:00 વાગ્યે: મહાપ્રસાદીનું વિતરણ 07:30 વાગ્યે: ભવ્ય સંતવાણી અને લોક ડાયરો 70 વર્ષ જૂનો ભવ્ય ઇતિહાસછેલ્લા 70 વર્ષથી સ્થાપિત આ મંદિર માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં હનુમાનજીની સાથે તેમના માતૃશ્રી અંજની માતા પણ બિરાજમાન છે અને તેમની નિત્ય પૂજા થાય છે. પશ્ચિમ વિસ્તારમાં લાખો શ્રદ્ધાળુઓ માટે આ આસ્થાનું ધામ છે. મંદિર દ્વારા માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ પણ સતત ચલાવવામાં આવે છે. આ વર્ષે 2 એપ્રિલના રોજ સવારથી મોડી રાત સુધી ભક્તો માટે દર્શન અને પ્રસાદની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
ડાયમંડ સિટી તરીકે જાણીતું સુરત હવે તેની ભક્તિ અને ભવ્યતા માટે પણ વિશ્વભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સુરતના પાલ વિસ્તારમાં સ્થિત અટલ આશ્રમ ખાતે હનુમાન જન્મોત્સવની અનોખી અને રેકોર્ડબ્રેક ઉજવણી કરવામાં આવી હતી. હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે દાદાને પ્રસાદ રૂપે 7000 કિલોગ્રામનો વિશાળ લાડુ અર્પણ કરવામાં આવ્યો છે, જે સુરતના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો લાડુ હોવાનું માનવામાં આવે છે. કેવી રીતે તૈયાર થયો આ મહાપ્રસાદ?આ વિશાળ લાડુ કોઈ સામાન્ય રીતે તૈયાર થયો નથી, તેની પાછળ દિવસ-રાતની મહેનત અને ચોકસાઈ રહેલી છે. આ લાડુને આકાર આપવા માટે 12 ફૂટના રાઉન્ડમાં 6 ફૂટ ઊંચાઈ ધરાવતી ખાસ લોખંડની ફ્રેમ તૈયાર કરવામાં આવી હતી. વિશાળ લાડુના દર્શન કરવા માટે વહેલી સવારથી ભારે ભીડઅટલ આશ્રમ ખાતે હનુમાન દાદાને આ ભવ્ય લાડુનો ભોગ ધરાવ્યા બાદ, તેને ભક્તો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ આકર્ષક અને વિશાળ લાડુના દર્શન કરવા માટે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. આશ્રમ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે કે આ પ્રસાદ શહેરના ખૂણે-ખૂણે પહોંચે અને હજારો ભક્તો આ મહાપ્રસાદનો લાહવો લઈ શકે. હાલમાં આશ્રમ પરિસરમાં 'જય શ્રી રામ' અને 'જય હનુમાન'ના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું છે અને પ્રસાદ વિતરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. 'ભારતનો સૌથી મોટો લાડુ હનુમાનજીને ભોગ તરીકે અર્પણ કરાયો'બટુકગીરી મહારાજએ જણાવ્યું હતું કે, આ લાડુ બનાવવાની શરૂઆત 2004થી કરવામાં આવી હતી. ધીરે ધીરે આ લાડુનો વિસ્તાર વધારતા વધારતા 2026ના વર્ષમાં આજે હનુમાન જયંતી નિમિત્તે ભારતનો સૌથી મોટો લાડુ ભગવાન હનુમાનજીને ભોગ તરીકે અર્પણ કરવામાં આવ્યો છે. આ લાડુ બનાવવામાં 3000 કિલો ખાંડ, 2000 કિલો ચણાની દાળ, 100 ડબ્બા ઘી અને તેલ તેમજ 300 કિલો સૂકો મેવો અને અન્ય સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ લાડુ બનાવવાની તૈયારી 30 તારીખે સવારે 10 વાગ્યાથી શરૂ કરીને 1 તારીખની મધ્યરાત્રિએ 1 વાગ્યા સુધી ચાલી હતી.
SOG PI આર.એ. પટેલની અમદાવાદ બદલી:પંચમહાલ પોલીસે વિદાય સમારંભ યોજી સન્માન કર્યું
પંચમહાલ જિલ્લા SOG (Special Operations Group) ના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. પટેલની અમદાવાદ શહેર ખાતે બદલી કરવામાં આવી છે. તેમની બદલીના પગલે ગઈ કાલે રાત્રે પંચમહાલ પોલીસ દ્વારા વિદાય સમારંભનું આયોજન કરાયું હતું. ગોધરા ખાતે યોજાયેલા આ વિદાય કાર્યક્રમમાં જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. PI આર.એ. પટેલે પંચમહાલ જિલ્લામાં અનેક મહત્વના કેસો ઉકેલવામાં તથા શાંતિ વ્યવસ્થા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સમારંભ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ અને સહકર્મીઓએ આર.એ. પટેલના કાર્યકાળની સરાહના કરી હતી. તેમની નિષ્ઠા અને ગુનાખોરી નિયંત્રણની કુશળતાને યાદ કરાઈ હતી. સાથી કર્મચારીઓએ તેમને સાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કર્યા હતા. આર.એ. પટેલ હવે અમદાવાદ શહેર પોલીસમાં પોતાની સેવાઓ આપશે. વિદાય પ્રસંગે PI આર.એ. પટેલે પંચમહાલ પોલીસ પરિવાર અને જનતા તરફથી મળેલા સહયોગ બદલ આભાર માન્યો હતો.
ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ગંભીર આક્ષેપો કર્યા છે. કેજરીવાલે જણાવ્યું છે કે, ગુજરાતમાં AAPના આશરે 160 કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે અને વધુમાં 10 હજાર જેટલા કાર્યકરોને ધરપકડ કરવાની યોજના બનાવાઈ રહી છે. તેમણે મુખ્યમંત્રી સાથે સીધી મુલાકાત માટે સમય પણ માંગ્યો છે. પોલીસની કાર્યવાહી પાછળ ભાજપનો હાથઃ મનોજ સોરઠિયાઆ મુદ્દે AAPના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ વીડિયો સંદેશ દ્વારા જણાવ્યું હતું કે, ગુજરાતમાં AAP કાર્યકરોને ખોટા કેસોમાં ફસાવી જેલમાં મોકલવામાં આવી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે, પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી પાછળ ભાજપના નેતાઓનો હાથ છે અને વિરોધ પક્ષને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ‘જનતાનો અવાજ દબાવી દેવાશે તો સરકાર સુધી સાચી વાત કેમ પહોંચશે?’સોરઠીયાએ વધુમાં જણાવ્યું કે, લોકશાહીમાં દરેક રાજકીય પક્ષને પોતાનો અવાજ ઉઠાવવાનો અધિકાર છે, પરંતુ જો આ રીતે પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને વિરોધ પક્ષને દબાવવામાં આવશે તો લોકશાહી માટે ખતરનાક પરિસ્થિતિ ઉભી થશે. તેમણે સવાલ ઉઠાવ્યો કે, જો જનતાનો અવાજ જ દબાવી દેવામાં આવશે તો સરકાર સુધી સાચી વાત કેવી રીતે પહોંચશે? આગામી દિવસોમાં તણાવ વધી શકે!AAP તરફથી કેજરીવાલના પત્રને જાહેર કરવાની પણ માગ કરવામાં આવી છે, જેથી ગુજરાતની જનતા સુધી સત્ય પહોંચે. આ સમગ્ર મામલે રાજ્યની રાજનીતિમાં આગામી દિવસોમાં વધુ તણાવ જોવા મળી શકે છે.
ગીર સોમનાથમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તંત્ર સજ્જ:256 બેઠક પર 9 લાખથી વધુ મતદારો કરશે મતદાન
ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી એ.વી. ઉપાધ્યાયે પત્રકાર પરિષદમાં ચૂંટણી વ્યવસ્થાની તૈયારીઓ વિશે માહિતી આપી હતી. જિલ્લામાં નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે વહીવટી મશીનરી સક્રિય થઈ છે. જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની કુલ 256 બેઠકો માટે ચૂંટણી યોજાશે. આમાં જિલ્લા પંચાયતની 28 બેઠકો, 6 તાલુકા પંચાયતની 128 બેઠકો અને 4 નગરપાલિકાના 32 વોર્ડની 128 બેઠકોનો સમાવેશ થાય છે. ચૂંટણી પ્રક્રિયાને સુચારુ બનાવવા માટે 22 ચૂંટણી અધિકારીઓ અને 28 મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરાઈ છે. જિલ્લામાં કુલ 1010 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં 5558 પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે. મતદારોની સુવિધા માટે દરેક મતદાન મથક પર જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મતદારોની સંખ્યા મુજબ, તાલુકા પંચાયત માટે 7,11,988 મતદારો અને નગરપાલિકાઓ માટે 2,06,908 મતદારો નોંધાયેલા છે. આમ, જિલ્લામાં કુલ 9 લાખથી વધુ મતદારો આ ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આદર્શ આચારસંહિતાના કડક અમલ માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરાઈ છે. ચૂંટણી દરમિયાન કોઈપણ અનિયમિતતા ટાળવા સતત મોનિટરિંગ કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચૂંટણી સંબંધિત 13 જાહેરનામા અમલમાં મૂકવામાં આવ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગીર સોમનાથ જિલ્લામાં ચૂંટણી શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજાશે.
ગીર સોમનાથના રાજકીય ફલક પર આજે એક મોટી ઉથલપાથલના દ્રશ્યો સર્જાયા છે. શાસક અને વિપક્ષના ગણિત વચ્ચે આમ આદમી પાર્ટી (AAP) ને ગઢ ગણાતા વિસ્તારમાં કારમો ઝટકો લાગ્યો છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસના છાવણીમાં ઉત્સાહનો સંચાર થયો છે. વેરાવળ-પાટણ પંથકના 'આપ' ના પાયાના અગ્રણીઓ અને સમર્પિત કાર્યકરોએ વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કરી પક્ષને વધુ સક્ષમ બનાવ્યો છે. વિરોધ પક્ષોએ 'આપ'ની ઉંઘ હરામ કરી દીધી'આપ' ના વેરાવળ-પાટણ શહેરના સહ-પ્રભારી પ્રકાશભાઈ વાયલું, પાટણ દલિત હાડી સમાજના પ્રમુખ ભાવેશભાઈ ચુડાસમા તથા ભોય સમાજના અગ્રણી રવિભાઈ વાઘેલા સહિત 30 થી વધુ સક્રિય કર્મશીલોએ આમ આદમી પાર્ટી સાથેનો છેડો ફાડી કોંગ્રેસનો સાથ સ્વીકાર્યો છે. સામૂહિક પક્ષ પલટાની આ ઘટનાએ ગીર સોમનાથના સ્થાનિક રાજકારણમાં ભારે ચકચાર જગાવી છે અને વિરોધ પક્ષોની ઉંઘ હરામ કરી દીધી છે. વિમલભાઈ ચુડાસમાએ હર્ષ વ્યક્ત કર્યો આ અવસરે વિમલભાઈ ચુડાસમાએ હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ‘જનતા હવે માત્ર પોલા વાયદાઓથી ભ્રમિત થવાને બદલે નક્કર કાર્યો અને સેવાને મહત્વ આપી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આમ આદમી પાર્ટીના પાયાના કાર્યકરોનો કોંગ્રેસમાં આ પ્રવેશ એ સાબિત કરે છે કે લોકોનો જનવિશ્વાસ હવે કોંગ્રેસની વિચારધારા પર ફરી અવિરત રીતે વરસી રહ્યો છે.’ કોંગ્રેસ માટે વ્યૂહાત્મક વિજય! રાજકીય પંડિતોના મતે, આ ઘટનાક્રમ ગીર સોમનાથ જિલ્લામાં આમ આદમી પાર્ટીના અસ્તિત્વ માટે પડકારજનક સાબિત થઈ શકે છે. બીજી તરફ, કોંગ્રેસ માટે આ એક વ્યૂહાત્મક વિજય સમાન છે. ખાસ કરીને સોમનાથના દરિયાકાંઠાના વિસ્તારમાં આગામી ચૂંટણીકીય જંગ માટે આ નવા સમીકરણો નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. સમીકરણો તેજ ગતિએ બદલાઈ રહ્યા છે આ મહત્ત્વપૂર્ણ પક્ષ પરિવર્તન બાદ ગીર સોમનાથના રાજકીય સમીકરણો તેજ ગતિએ બદલાઈ રહ્યા છે. વર્તમાન માહોલ જોતા આગામી દિવસોમાં હજુ પણ અનેક અસંતુષ્ટ નેતાઓ અને કાર્યકરો પક્ષ પલટો કરે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે, જેનાથી આગામી રાજકીય જંગ વધુ રોચક બનશે.
આઈપીએલનો પ્રારંભ થતાની સાથેજ બુકી અને સટ્ટોડીયાઓને ઝડપી લેવા માટે શહેર પોલીસ એક્ટીવ થઈ ગઈ છે. ચાંદખેડા પોલીસે જગતપુર પાસે આવેલા એક કાફેમાં સટ્ટો રમી રહેલા બે શખસની ધરપકડ કરી છે. બન્ને શખસ અલગ-અલગ બેસીને ક્રિકેટ સટ્ટો રમતા હતાં, જ્યાં પોલીસે શંકાના આધારે તેમની ધરપકડ કરી લીધી છે. બન્ને યુવકના મોબાઈલમાંથી સટ્ટો રમવાની એપ્લીકેશન મળી આવી હતી. બન્ને શખસ કયા બુકી પાસેથી સટ્ટો રમવા માટે આઈડી લીધી છે, તેની પણ પૂછપરછ હાથ ધરાઈ છે. પોલીસે યુવકની શંકાના આધારે તપાસ કરીચાંદખેડા પોલીસ પેટ્રોલીગમાં હતી, ત્યારે જગતપુર પાસે આવેલા એક કાફેમાં યુવક સતત મોબાઈલમાં એક્ટીવ હતો. પોલીસને યુવકની હરકતો પર શંકા જતા તેની પાસે જઈને મોબાઈલ લઈ લીધો હતો. મોબાઈલમાં જોયુ તો યુવક આઈપીએલની મેચ પર સટ્ટો રમી રહ્યો હતો. યુવકનુ નામ જીગ્નેશ શાહ છે અને તે ગોતા ખાતે આવેલા સિલ્વર ગાર્ડનીયા સોસાયટીમાં રહે છે. ગઈકાલે લખનવ સુપર જાયન્ટ અને દિલ્હી કેપીટલ વચ્ચે મેચ ચાલતી હતી, જેમાં તે ઓનલાઈન સટ્ટો રમતો હતો. ચાંદખેડા પોલીસે આ મામલે જીગ્નેશની ધરપકડ કરીને ગુનો દાખલ કર્યો છે. આજ કાફેમાંથી અન્ય યુવક પણ ઝડપાયોતો બીજી તરફ ચાંદખેડા પોલીસે પણ તે કાફેમાં વધુ એક યુવકને સટ્ટો રમતા રંગે હાથ ઝડપી લીધો છે. ગોતામાં આવેલા યુનિક આશીયાનામાં રહેતો પંકિલ સ્વપનિલ રાવ પણ જગતપુરમાં આવેલા કાફેમાં બેસીને ઓનલાઈન સટ્ટો રમી રહ્યો હતો. પોલીસ પંકિલની પણ રંગે હાથ ધરપકડ કરીને તેના વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. પંકિલ અને જીગ્નેશ એક જ કાફેમાં અલગ અલગ જગ્યા પર બેસીને ઓનલાઈન એપ્લીકેશનની મદદથી સટ્ટો રમી રહ્યા હતા.
અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થતાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણી પંચ દ્વારા ગઈકાલે સાંજે 6 નગરપાલિકા અને 11 તાલુકા પંચાયત માટે મતદારોની આંકડાકીય માહિતી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં સ્ત્રી, પુરુષ અને અન્ય મતદારોનો સમાવેશ થાય છે. જિલ્લાની 11 તાલુકા પંચાયતોમાં કુલ 8,64,877 મતદારો નોંધાયા છે, જેમાં 4,55,449 પુરુષ, 4,09,427 સ્ત્રી અને 1 અન્ય મતદારનો સમાવેશ થાય છે. તાલુકાવાર મતદારોની સંખ્યા આ મુજબ છે: અમરેલી (કુલ 94,852: પુરુષ 50,092, સ્ત્રી 44,760), વડિયા (કુલ 77,729: પુરુષ 40,897, સ્ત્રી 36,831, અન્ય 1), લાઠી (કુલ 73,008: પુરુષ 38,465, સ્ત્રી 34,543), બાબરા (કુલ 94,982: પુરુષ 49,844, સ્ત્રી 45,138), સાવરકુંડલા (કુલ 1,18,838: પુરુષ 62,922, સ્ત્રી 55,916), લીલિયા (કુલ 47,647: પુરુષ 25,102, સ્ત્રી 22,545), ધારી (કુલ 71,840: પુરુષ 38,109, સ્ત્રી 33,731), બગસરા (કુલ 45,141: પુરુષ 23,511, સ્ત્રી 21,630), ખાંભા (કુલ 71,878: પુરુષ 37,903, સ્ત્રી 33,975), રાજુલા (કુલ 1,06,193: પુરુષ 55,711, સ્ત્રી 50,482), અને જાફરાબાદ (કુલ 62,769: પુરુષ 32,893, સ્ત્રી 29,876). તેવી જ રીતે, જિલ્લાની 6 નગરપાલિકાઓમાં કુલ 2,10,677 મતદારો નોંધાયા છે, જેમાં 1,10,159 પુરુષ, 1,00,498 સ્ત્રી અને 20 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. નગરપાલિકાવાર મતદારોની સંખ્યા નીચે મુજબ છે: અમરેલી (કુલ 79,439: પુરુષ 41,246, સ્ત્રી 38,192, અન્ય 1), બાબરા (કુલ 14,749: પુરુષ 7,758, સ્ત્રી 6,991), સાવરકુંડલા (કુલ 56,184: પુરુષ 29,011, સ્ત્રી 27,159, અન્ય 14), ધારી (કુલ 23,072: પુરુષ 12,008, સ્ત્રી 11,062, અન્ય 2), બગસરા (કુલ 25,485: પુરુષ 13,431, સ્ત્રી 12,051, અન્ય 3), અને દામનગર (કુલ 11,748: પુરુષ 6,105, સ્ત્રી 5,643). ચૂંટણીની જાહેરાત બાદ રાજકીય પક્ષો પણ સક્રિય બન્યા છે. કોંગ્રેસ દ્વારા મોટાભાગની સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે, જ્યારે ભાજપ દ્વારા આજથી બે દિવસ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોને નિરીક્ષકો સાંભળી રહ્યા છે અને પાર્ટીના નીતિ-નિયમો હેઠળ આ પ્રક્રિયા ચાલી રહી છે.
હિંમતનગરના હરસિધ્ધિ મંદિરે ચૈત્રી પૂનમે નવચંડી હવન:યજમાનોએ પૂજન અર્ચન સાથે હવનનો લાભ લીધો
હિંમતનગરના હરસિધ્ધિ માતાજીના મંદિરે ચૈત્રી પૂનમના દિવસે નવચંડી હવનનો પ્રારંભ થયો હતો. આ હવન સાંજે શ્રીફળ હોમ સાથે સંપન્ન થશે. ગુરુવારે ભક્તોએ માતાજીની ગરુડ પર સવારીના દર્શન કર્યા હતા. આજે ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતિ હોવાથી હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લાના વિવિધ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. હિંમતનગરના હરસિધ્ધિ માતાજીના મંદિરે યોજાયેલા નવચંડી હવનના યજમાન મણીબેન વસરામભાઈ પટેલ હતા, જેમણે સુરેશભાઈ વી. પટેલના હસ્તે હવનનો લાભ લીધો હતો. બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર અને પૂજન-અર્ચન સાથે હવનનો પ્રારંભ થયો હતો. આ નવચંડી હવનની પૂર્ણાહુતિ સાંજે 4 વાગ્યે શ્રીફળ હોમ સાથે થશે.
પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં હનુમાન જયંતિ પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે વિવિધ મંદિરો અને સંગઠનો દ્વારા હવન, સુંદરકાંડ, મારૂતિ યાગ અને ભંડારા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ભદ્ર સાર્વજનિક વ્યાયામ મંદિર, છબીલા હનુમાન અને મંગલસિદ્ધ હનુમાન મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને દર્શન-પ્રસાદનો લાભ લીધો હતો. સિદ્ધપુરના પસુવાદળની પોળમાં આવેલા ભદ્ર સાર્વજનિક વ્યાયામ મંદિર (અખાડો) ખાતે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ત્રિ-દિવસીય કાર્યક્રમો યોજાયા હતા. પ્રથમ દિવસે અશ્વિનભાઈ જોષી દ્વારા 'માં બાપ ને ભૂલશો નહીં' કાર્યક્રમ અને બીજા દિવસે શાસ્ત્રી કપિલભાઈ દવે દ્વારા સુંદરકાંડના પાઠનું પઠન કરાયું હતું. હનુમાન જયંતિના મુખ્ય દિવસે, 02-04-2026ના રોજ, ખાસ હવનનું આયોજન થયું હતું, જેની પૂર્ણાહુતિ સાંજે 5:15 કલાકે થઈ હતી. ત્યારબાદ સાંજે 7:00 કલાકે ભોજન પ્રસાદ (ભંડારા) યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે આ સ્થળે છેલ્લા 18 વર્ષથી દર શનિવારે રાત્રે 9:00 થી 10:00 કલાક દરમિયાન નિયમિત રામ ધૂનનું આયોજન થાય છે. શહેરની જૂની વહોરવાડમાં નવા ટાવર પાસે આવેલા છબીલા હનુમાન મંદિરે બલવીર ગ્રુપ દ્વારા ભવ્ય મારૂતિ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષોની પરંપરા મુજબ, ગુરુવારના રોજ યોજાયેલા આ ધાર્મિક પ્રસંગે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ મારૂતિ યાગમાં આહુતિ આપી દર્શનનો લાભ લીધો હતો. આ ઉપરાંત, સિદ્ધેશ્વરી સોસાયટીના નાકે આવેલા મંગલસિદ્ધ હનુમાન મંદિરે પણ હનુમાન જન્મોત્સવ નિમિત્તે મારૂતિ યાગનું આયોજન કરાયું હતું. જેમાં સ્થાનિક રહીશો અને ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. આમ, હનુમાન જન્મોત્સવના અવસરે સમગ્ર સિદ્ધપુર શહેર ભક્તિમય માહોલમાં રંગાયેલું જોવા મળ્યું હતું.
જામનગર મનપા ચૂંટણી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ:16 વોર્ડની 64 બેઠકો માટે દાવેદારોનો ભારે ધસારો
જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે. શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ નિરીક્ષકોની ઉપસ્થિતિમાં 16 વોર્ડની 64 બેઠકો માટે દાવેદારોને સાંભળવાની 'સેન્સ' પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે. આ પ્રક્રિયા માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ગઈકાલે શહેર ભાજપ કાર્યાલય પરથી 16 વોર્ડ માટે કુલ 1575 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજે આ તમામ દાવેદારોને પ્રદેશ નિરીક્ષકો દ્વારા 'વન-ટુ-વન' સાંભળવામાં આવી રહ્યા છે. વ્યવસ્થા જાળવવાના હેતુથી દાવેદારોને સાંભળવા માટે બે અલગ-અલગ ટીમો અને સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. વોર્ડ 1 થી 8 માટે ફ્રેન્ડ્સ હોલ ખાતે ધારાસભ્ય કેશવલાલ પટેલ, પૂર્વ ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ અને તેજલબેન નાયીની ટીમ સુનાવણી કરી રહી છે. જ્યારે વોર્ડ 9 થી 16 માટે શહેર ભાજપ કાર્યાલય ખાતે ધારાસભ્ય અમિતભાઈ ઠાકર, નૌકાબેન પ્રજાપતિ અને પૂર્વ મેયર ગૌતમભાઈ શાહની ટીમ દાવેદારોને સાંભળી રહી છે. શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારીએ આ પ્રક્રિયા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીમાં દરેક કાર્યકર્તાને લોકશાહી ઢબે પોતાની દાવેદારી રજૂ કરવાનું ખુલ્લું માધ્યમ આપવામાં આવ્યું છે. પક્ષ યુવા રક્ત અને અનુભવી નેતાઓનું સંતુલિત મિશ્રણ જોવા મળે તેવી વિચારણા ધરાવે છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન શહેર પ્રમુખ બીનાબેન કોઠારી સહિત શહેર સંગઠનની આખી ટીમ વ્યવસ્થા જાળવી રહી છે. શિસ્તબદ્ધ રીતે ચાલી રહેલી આ પ્રક્રિયા બાદ નિરીક્ષકો પોતાનો રિપોર્ટ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને સોંપશે, જેના આધારે આખરી ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે.
રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ ભરૂચ જિલ્લામાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ચૂંટણી પ્રક્રિયા અંગે માહિતી આપતા જણાવ્યું કે, આગામી 26 એપ્રિલે જિલ્લા પંચાયતની 34 બેઠકો, 9 તાલુકા પંચાયતની 182 બેઠકો અને 4 નગરપાલિકાઓની 132 બેઠકો માટે મતદાન થશે. જિલ્લામાં તાલુકા પંચાયતોની બેઠકોની સંખ્યા જાહેર કરવામાં આવી છે. ભરૂચ તાલુકા પંચાયતમાં સૌથી વધુ 30 બેઠકો છે. જંબુસર અને ઝઘડીયા તાલુકા પંચાયતમાં 22-22 બેઠકો નક્કી કરાઈ છે. આ ઉપરાંત, વાગરા તાલુકામાં 18, હાંસોટમાં 16, અંકલેશ્વરમાં 26, આમોદમાં 16, વાલીયા અને નેત્રંગ તાલુકામાં 16-16 બેઠકો રહેશે. નગરપાલિકાઓ માટે પણ વોર્ડ અને બેઠકોની વિગતો જાહેર થઈ છે. ભરૂચ નગરપાલિકામાં 11 વોર્ડ સાથે કુલ 44 બેઠકો છે. અંકલેશ્વર નગરપાલિકામાં 9 વોર્ડમાં 36 બેઠકો, જંબુસર નગરપાલિકામાં 7 વોર્ડમાં 28 બેઠકો અને આમોદ નગરપાલિકામાં 6 વોર્ડમાં 24 બેઠકો માટે મતદાન યોજાશે. ચૂંટણી માટે ભરૂચ જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયત માટે કુલ 1134 મતદાન મથકો નક્કી કરાયા છે. જ્યારે ચાર નગરપાલિકાઓ માટે 219 મતદાન મથકો રહેશે. આમ, જિલ્લામાં કુલ 1353 મતદાન મથકો પર ચૂંટણી યોજાશે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં કુલ 8,67,518 મતદારો નોંધાયા છે. જેમાં 4,43,966 પુરુષ, 4,23,533 સ્ત્રી અને અન્ય જાતિના 19 મતદારોનો સમાવેશ થાય છે. ચાર નગરપાલિકાઓમાં કુલ 2,19,004 મતદારો નોંધાયા છે. આ પૈકી 1,10,653 પુરુષ, 1,08,332 સ્ત્રી અને અન્ય જાતિના 19 મતદારો છે. આ ચૂંટણી પ્રક્રિયામાં જિલ્લા પંચાયત માટે 10 ચૂંટણી અધિકારી અને 18 મદદનીશ અધિકારીઓ ફરજ બજાવશે. તાલુકા પંચાયત માટે 18-18 અધિકારીઓ અને નગરપાલિકા માટે 4-4 ચૂંટણી અધિકારી અને મદદનીશ અધિકારીઓ રહેશે. સમગ્ર ચૂંટણી માટે 15 નોડલ અધિકારીઓ અને 7 હજારથી વધુ કર્મચારીઓ તૈનાત કરાશે. ચૂંટણી જાહેર થતાં જ વિવિધ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી અને પ્રચારની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જરૂરી વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવી રહી છે.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગરમાં વધુ એકવાર એએમટીએસ બસના ચાલકની બેદરકારી સામે આવી છે. સરદાર ચોકથી વિજય પાર્ક તરફ જવાના માર્ગ પર પૂરપાટ ઝડપે આવતી બસના ચાલકે એક બળદગાડાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બળદ અને વૃદ્ધને ઈજા પહોંચી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. રોષે ભરાયેલા લોકોએ તોડફોડ કરીઘટના બાદ વૃદ્ધને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. વારંવાર બનતી આવી ઘટનાઓથી કંટાળેલા સ્થાનિકોએ કાયદો હાથમાં લીધો હતો અને એએમટીએસ બસમાં ભારે તોડફોડ કરી હતી. લોકોના રોષને જોતા બસચાલક ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો. પરિસ્થિતિ વણસતા કૃષ્ણનગર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને ટોળાને શાંત પાડી મામલો થાળે પાડ્યો હતો. પોલીસે બસચાલક સામે ગુનો નોંધ્યોઆ સમગ્ર અકસ્માત નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, બસચાલકની બેદરકારીને કારણે જ આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને બસચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
જામનગરમાં હનુમાન જયંતિ, બાલા હનુમાન મંદિરે ભક્તોની ભીડ:વિશેષ મહત્વ, વહેલી સવારથી દર્શનાર્થીઓની કતારો
જામનગરમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરના વિશ્વ વિખ્યાત બાલા હનુમાન મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. હજારો શ્રદ્ધાળુઓ લાંબી કતારોમાં ઊભા રહીને દર્શનનો લાભ લઈ રહ્યા છે. ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન ધરાવતા બાલા હનુમાન સંકીર્તન મંદિરમાં ધ્વજારોહણ અને મહાઆરતી સહિતના વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ વર્ષે શનિવાર અને હનુમાન જયંતિનો વિશેષ સંયોગ હોવાથી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના અન્ય પ્રસિદ્ધ મંદિરો જેવા કે ચૈતન્ય હનુમાન, સૂર્યમુખી હનુમાન, હઠીલા હનુમાન, દાંડિયા હનુમાન, કષ્ટભંજન દેવ અને બળિયા હનુમાન મંદિરોમાં પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ મંદિરોમાં વિશિષ્ટ આરતી, બટુક ભોજન, દીપમાળા અને અન્નકૂટ દર્શન જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભક્તો ભગવાન હનુમાનજીને તેલ, અડદ અને આંકડાની માળા અર્પણ કરી રહ્યા છે. કેળા, લાડુ અને પેંડા જેવા પ્રસાદ ધરાવી પૂજા-અર્ચના કરી રહ્યા છે. સાંજે મહાઆરતી, બટુક ભોજન અને મહાપ્રસાદનું પણ વિશેષ આયોજન કરાયું છે. સમગ્ર હાલાર પંથકમાં હનુમાન જયંતિની આસ્થાપૂર્વક ઉજવણી થઈ રહી છે.
બોટાદના કાનીયાડ ગામે વાડીમાંથી નવજાત શિશુ મળ્યું:પોલીસે સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડી, તપાસ શરૂ
બોટાદ જિલ્લાના કાનીયાડ ગામે ઉમરાળા રોડ પર આવેલી એક વાડીમાંથી નવજાત શિશુ મળી આવ્યું છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, વાડીમાં લીલી જુવારના પાક વચ્ચેથી આ નવજાત શિશુ મળી આવ્યું હતું. સ્થાનિકો દ્વારા આ અંગે પાળીયાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ પાળીયાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તાત્કાલિક નવજાત શિશુને સારવાર અર્થે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડ્યું હતું. હાલ પાળીયાદ પોલીસે નવજાત શિશુને ત્યજી દેનાર માતા-પિતા કોણ છે અને કયા સંજોગોમાં તેને ત્યજી દેવામાં આવ્યું તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં તાજેતરમાં કરોડોની નકલી નોટો છાપવાના કૌભાંડમાં ઝડપાયેલા કહેવાતા યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયા (પ્રદીપ બાબા) વિરુદ્ધ હવે તબીબી આલમમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી વગર આયુર્વેદના નામે લોકોની સારવાર કરતા આ 'ઢોંગી' બાબા વિરુદ્ધ સુરતના આયુર્વેદિક ડોક્ટરોએ મોરચો ખોલ્યો છે. શુક્રવારે ડોક્ટરોનું એક મોટું પ્રતિનિધિમંડળ રાજ્યના મંત્રી પ્રફુલ પાનસેરીયાની ઓફિસે રજૂઆત કરવા પહોંચ્યું હતું. ડિગ્રી વગરની પ્રેક્ટિસ અને લોકોના જીવ સાથે જોખમઆયુર્વેદિક ડોક્ટરોએ આક્ષેપ કર્યો છે કે પ્રદીપ બાબા માત્ર સોશિયલ મીડિયા પરથી અધકચરું જ્ઞાન મેળવીને ગંભીર બીમારીઓની સારવાર કરવાનો દાવો કરતો હતો. આયુષ મંત્રાલયના નામનો દુરુપયોગ કરી તે નિર્દોષ નાગરિકોને છેતરતો હતો. ડોક્ટરોના મતે, યોગ્ય શિક્ષણ વગર કરવામાં આવતી આવી 'ઊંટવૈદ્યગીરી' દર્દીઓના સ્વાસ્થ્ય માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આ માત્ર આર્થિક છેતરપિંડી નથી, પરંતુ માનવ જીવન સાથે રમત છે. આરોગ્ય મંત્રી સમક્ષ કડક કાર્યવાહીની માંગસુરતના ડોક્ટરોએ મંત્રી પ્રફુલ પાનસેરીયાને આવેદનપત્ર પાઠવી માગ કરી છે કે પ્રદીપ બાબા સામે એવો દાખલો બેસાડવામાં આવે કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ગભરાય. ડોક્ટરોએ જણાવ્યું હતું કે આવા ઢોંગીઓને કારણે વર્ષો જૂની ભારતની આયુર્વેદિક પરંપરા અને સંસ્કૃતિ બદનામ થાય છે. સરકાર આવા તત્વોને શોધી કાઢવા માટે વિશેષ ઝુંબેશ ચલાવે તેવી પણ માંગ કરવામાં આવી છે. નકલી નોટથી લઈને સારવારના નામે છેતરપિંડીતપાસમાં ખુલાસો થયો છે કે પ્રદીપ બાબા તેના 'સત્યમ યોગ ફાઉન્ડેશન' ના ઓઠા હેઠળ અનેક ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવતો હતો. નકલી નોટો છાપવાની સાથે સાથે તેણે કેન્સર જેવી ગંભીર બીમારીઓ મટાડવાના ખોટા દાવા કરીને અનેક લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદો પણ ઉઠી છે. તેની ધરપકડ બાદ હવે એક પછી એક પીડિતો સામે આવી રહ્યા છે, જેના કારણે પોલીસ તપાસનો વ્યાપ પણ વધી રહ્યો છે. આયુર્વેદિક શિક્ષણ અને સંસ્કૃતિનું રક્ષણ અનિવાર્યઅંતમાં, ડોક્ટરોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આયુર્વેદ એ વિજ્ઞાન છે, જાદુ કે સોશિયલ મીડિયાના નુસખા નથી. વર્ષોની તપસ્યા અને અભ્યાસ બાદ ડોક્ટરો તૈયાર થતા હોય છે, ત્યારે આવા અભણ અને લાલચુ લોકોના કારણે સમગ્ર આયુર્વેદિક જગતની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. સરકારે આયુર્વેદને આવા ઢોંગીઓથી બચાવવા માટે કડક કાયદાકીય અમલવારી કરવી અત્યંત જરૂરી બની છે. ડોક્ટર રજનીકાંત પટેલે જણાવ્યું હતું કે, આ બાબા તો જે કરે છે એ એકદમ ખોટું જ કરેલું છે. એને કારણે ઘણા લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે અને એને કારણે ઓરિજનલ જે આયુર્વેદ ડોક્ટરો છે, જે સરકાર દ્વારા માન્ય લાયકાત ધરાવે છે એની સામે પણ આજકાલ લોકો પ્રશ્ન કરી રહ્યા છે જે ખૂબ જ ગંભીર વાત છે. રજૂઆત એ છે કે BAMS ડિગ્રી અથવા તો સરકાર દ્વારા માન્ય આયુર્વેદ પ્રેક્ટિસ કરવાને લગતી જે લોકો પાસે ડિગ્રી નથી અને એ લોકો આયુર્વેદિક દવાઓ વેચી રહ્યા છે અને દર્દીના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે, એના વિરુદ્ધ સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે એ બાબતે અમે અત્યારે આરોગ્ય મંત્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. મુદ્દો એક જ છે કે આયુર્વેદ ડિગ્રી છે એ લોકો જ આયુર્વેદ પ્રેક્ટિસ કરી શકવા જોઈએ. જે લોકો પાસે આયુર્વેદની ડિગ્રી નથી એ લોકો પ્રેક્ટિસ કરી શકવા જોઈએ નહીં એક જ વાત. બાબાઓ સરકારે કરે એટલે આવું તો જાણ અમને ઘણા વર્ષોથી હતી, પણ આ હવે બાબાનું બહાર આવ્યું અને થોડું જોયું એટલે અમને એમ લાગ્યું કે હવે આ સમય યોગ્ય છે કે આપણે આરોગ્ય મંત્રીને રજૂઆત કરીએ અને અમારી અમે વિનંતી કરી છે, પ્રફુલભાઈને કે આના વિરુદ્ધ આવા જે લેભાગુ તત્વો છે જે સુરતમાં, વરાછામાં નાકે-નાકે બેસીને કેન્સર મટાડે છે, ડાયાબિટીસ મટાડવાના દાવા કરે છે, ઓનલાઇન બધી દવાઓ વેચે છે, આવા લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય. આરોગ્ય મંત્રીએ અમને વિશ્વાસ આપ્યો કે આવા જે લેભાગુ તત્વો છે એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થશે અને આવનાર સમયમાં જે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ જે લાગુ થઈ જવા જઈ રહ્યો છે, એને કારણે પણ આ વસ્તુમાં ચોક્કસ ફાયદો થશે. રાજ્ય આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, સરકાર આ બાબતે ખૂબ જ ગંભીર છે અને સતત પગલાં લઈ રહી છે. એટલા માટે જ અમે નક્કી કર્યું છે કે દરેક ડૉક્ટર, લેબોરેટરી, એક્સ-રે અને સોનોગ્રાફી સેન્ટરોએ ફરજિયાતપણે નોંધણી નંબર લેવો જ પડશે. અમે ગુજરાત સરકારના આ બજેટ સત્રમાં એક્ટમાં સુધારો કરીને આ માટે ચોક્કસ સમયમર્યાદા પણ આપી છે, જેથી બધાને પૂરતી તક મળે. અમારો મુખ્ય હેતુ એ છે કે કોઈપણ લેભાગુ તત્વો, જેમની પાસે કોઈ માન્ય ડિગ્રી નથી, તેઓ ખાનગી પ્રેક્ટિસ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડાં ન કરી શકે.ઘણીવાર એવું જોવા મળે છે કે ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં કે અંતરિયાળ ગામડાઓમાં આવા લોકો પ્રેક્ટિસ કરતા હોય છે. આરોગ્ય વિભાગને જ્યારે પણ આવી ફરિયાદ મળે છે, ત્યારે તાત્કાલિક ધોરણે તેમની સામે કાર્યવાહી કરીને તેમને પકડવામાં આવે છે. આયુર્વેદના નિષ્ણાત ડૉક્ટરો કે MBBS ડૉક્ટરો પાંચથી સાત વર્ષ સુધી સખત અભ્યાસ કરે છે અને પોતાની આખી યુવાની આ જ્ઞાન મેળવવામાં ખર્ચે છે, ત્યારે જ તેઓ માનવ શરીર વિજ્ઞાન વિશે શીખી શકે છે. પરંતુ, હાલમાં જે રીતે સોય ભોંકવા કે અન્ય બાબતોના વિડિયો સામે આવ્યા છે, તેવા કૌભાંડો રોકવા જરૂરી છે. જ્યારે પણ આવી કોઈ ફરિયાદ અમારી પાસે આવશે, અમે ચોક્કસપણે કડક પગલાં લઈશું. દરેક શહેરની અંદર અમારા હેલ્થ વિભાગમાં કમ્પ્લેન થશે તો ચોક્કસ એની ચકાસણી થશે અને અત્યારે આ સમયની અંદર હું લોકોને વિનંતી કરું છું કોઈ અંધશ્રદ્ધાની અંદર ના આવતા. ડિગ્રી પ્રાપ્ત કરેલા કોઈપણ ડોક્ટર પાસેથી જ પોતાની સારવાર કરાવવી જોઈએ, એની પાસેથી જ માર્ગદર્શન મેળવવું જોઈએ, એની પાસે જ ઓપરેશન કરાવવું જોઈએ, એની પાસેથી જ દવા લેવી જોઈએ અથવા તો તપાસ કરાવવી જોઈએ. લોકોને વિનંતી કરું છું કે આવા લેભાગુ તત્વો, દોરાધાગા કરનારા તત્વો, કોઈપણ જગ્યાએ કોઈ ભસ્મ આપે કે પેલું આપે અને આ બાબતમાં પોતાના જીવ જવા સુધીના દાખલાઓ સામે આવ્યા છે. ખાસ કરીને સર્પ કરડવો, સાપ કરડે કે વીંછી કરડે તો એને ઉતારવા લઈ જાય છે, આ પણ ખોટી વાત છે. 108 ને ફોન કરીને એની અંદર ઈન્જેક્શન અને બધી જ વ્યવસ્થા અમે અપ-ટુ-ડેટ રાખી છે કે જે હોસ્પિટલ પહોંચે એ પહેલા પણ એને સારવાર મળી જાય એવી 108ની અંદર પણ સુવિધા પ્રાપ્ત કરેલી છે. તો આવા લેભાગુ ડોક્ટરોથી ચેતીને ડિગ્રી પ્રાપ્ત કરેલા ડોક્ટરો કે ફેમિલી ડોક્ટરો પાસેથી દવા લે અને અમને જ્યાં કમ્પ્લેન મળશે ત્યાં ચોક્કસ પ્રકારે અમે એક્શન લઈશું. આજે આયુર્વેદના ડોક્ટરો બધા જ મિત્રો આ વિસ્તારના મને રજૂઆત કરવા આવ્યા હતા. આ રજૂઆત મેં સાંભળી છે અને એ બાબતમાં સરકાર ગંભીરતા લઈ જ રહી છે અને ગંભીર છે અને એટલા માટે જ અમે સમય વધુ આપ્યો છે રજીસ્ટ્રેશન કરશે અને ખ્યાલ આવી જશે કે રજીસ્ટ્રેશન નંબર વગરની જે સંસ્થા છે એ ડિગ્રી પ્રાપ્ત નથી કરેલી અને એના ઉપર એક્શન લેશું.
વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર જાંબુવાબ્રિજ પાસે કપુરાઈ પોલીસે એક ટ્રકમાંથી કતલખાને લઈ જવાતા 15 પશુઓને બચાવી લીધા છે. પોલીસે પશુઓની હેરાફેરી કરનાર ટ્રક ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી છે, જ્યારે પશુઓ ભરી આપનાર અંકલેશ્વરના વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે 15 પશુઓને સુરક્ષિત રીતે દરજીપુરા પાંજરાપોળમાં મોકલી આપ્યા છે. આ કાર્યવાહીમાં ટ્રક અને પશુઓ મળીને કુલ રૂપિયા 10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસને બાતમી મળી હતીવડોદરા શહેર નજીક પસાર થતા નેશનલ હાઈવે તથા એક્સપ્રેસ હાઈવે પરથી અવારનવાર ગેરકાયદેસર પશુઓની હેરાફેરીના કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે 1 એપ્રિલના રોજ કપુરાઈ પોલીસ સ્ટેશનના કર્મચારી રાજેશ લખનરાવ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન પોલીસ કન્ટ્રોલ રૂમ મારફતે માહિતી મળી કે, જાંબુવાબ્રિજ નજીક એક ટ્રકમાં પશુઓ ભરેલા છે. પશુ ભરી આપનાર વોન્ટેડ જાહેરપોલીસની ટીમ તરત જ સ્થળ પર પહોંચી અને ટ્રકની તપાસ કરતાં તેમાં 15 પશુઓ ખીચોખીચ અને ક્રૂરતાપૂર્વક ભરવામાં આવ્યા હોય તે પ્રકારના દૃશ્યો જોવા મળ્યા હતા. પોલીસે ટ્રકચાલક ઇમરાનખાન કેસરખાન બલોચ (રહે. મહેસાણા) તથા ક્લીનર હૈદરખાનને ઝડપી પાડ્યા હતા. આરોપીઓની પૂછપરછ દરમિયાન પશુઓ ભરી આપનાર વ્યક્તિ તરીકે અંકલેશ્વરના ગુલામનબી રસુલનું નામ સામે આવ્યું હતું, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. પશુઓને પાંજરાપોળ મોકલી અપાયાપોલીસે 15 પશુઓની અંદાજિત કિંમત રૂ. 3 લાખ અને ટ્રકની કિંમત રૂ. 7 લાખ મળીને કુલ રૂપિયા 10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તમામ પશુઓને મુક્ત કરાવી દરજીપુરા પાંજરાપોળ ખાતે સુરક્ષિત રીતે મોકલવામાં આવ્યા છે.
સુરતના પાંડેસરામાં ઝડપાયેલા 1400 કિલો શંકાસ્પદ પનીરના નમૂનાનો લેબોરેટરી રિપોર્ટ આજે જાહેર થતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં પનીરનો આ જથ્થો 'સબ-સ્ટાન્ડર્ડ' જાહેર કરવામાં આવ્યો છે. આ પનીરમાં કુદરતી મિલ્ક ફેટને બદલે ખતરનાક વેજીટેબલ ઓઈલ અને ઇન્ડસ્ટ્રીયલ એસિડના અંશો મળી આવ્યા છે, જે સુરતીઓના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો સાબિત થઈ શકે છે. મિલ્ક ફેટની જગ્યાએ પામોલીન ઓઈલ વધુ પ્રમાણમાં વપરાતુંસુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર ડી. કે. ઠાકરના જણાવ્યા અનુસાર, 3 માર્ચના રોજ પાંડેસરાની ભીડભંજન સોસાયટીમાંથી લેવામાં આવેલા પનીરના સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ફેલ થયા છે. રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે, પનીરમાં મિલ્ક ફેટનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. તેના બદલે બીટા-સિટોસ્ટેરોલ એટલે કે 'વેજીટેબલ ઓઈલ' (પામોલીન તેલ) મોટા પ્રમાણમાં ભેળવવામાં આવ્યું હતું. આ રિપોર્ટ બાદ હવે તંત્ર દ્વારા કડક કાયદાકીય કાર્યવાહીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કિડની ફેલ થવી અને આંતરડાના કેન્સર જેવી બીમારીઓ થઈ શકેSOGની તપાસમાં સૌથી ભયાનક ખુલાસો એ થયો હતો કે આ પનીર બનાવવા માટે 'ફૂડ ગ્રેડ' એસિડને બદલે કારખાનાઓમાં વપરાતા 'ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ' એસિટિક એસિડનો ઉપયોગ કરવામાં આવતો હતો. સામાન્ય રીતે દૂધ ફાડવા માટે લીંબુના ફૂલ અથવા સાઇટ્રિક એસિડ વપરાય છે, પરંતુ ખર્ચ ઘટાડવા માટે આરોપી મહેશ શર્મા કેમિકલ યુક્ત એસિડ વાપરતો હતો. આ એસિડનું સેવન કરવાથી લાંબા ગાળે કિડની ફેલ થવી અને આંતરડાના કેન્સર જેવી જીવલેણ બીમારીઓ થઈ શકે છે. પરપ્રાંતનું લાયસન્સ બતાવીને તંત્રને અત્યાર સુધી ગેરમાર્ગે દોરતોઆરોપી મહેશ શર્માની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તેની પાસે FSSAI લાયસન્સ તો હતું, પરંતુ તે મહારાષ્ટ્રના વસઈના એડ્રેસ પર નોંધાયેલું હતું. આ લાયસન્સની આડમાં તે સુરતના પાંડેસરામાં ગેરકાયદે ફેક્ટરી ધમધમાવતો હતો. કાયદા મુજબ જે સ્થળે ઉત્પાદન થતું હોય ત્યાંનું જ લાયસન્સ હોવું અનિવાર્ય છે, પરંતુ તપાસ ટાળવા માટે તે પરપ્રાંતનું લાયસન્સ બતાવીને તંત્રને અત્યાર સુધી ગેરમાર્ગે દોરતો રહ્યો હતો. પામોલીન તેલના મિશ્રણને તૈયાર કરી પનીર જેવો આકાર અપાતોઆ પકડાયેલું પનીર વાસ્તવમાં 'એનાલોગ પનીર' હતું. તે શુદ્ધ દૂધમાંથી નહીં, પરંતુ પામોલીન તેલ, પાવડર (મિલ્ક સોલિડ) અને પાણીના મિશ્રણથી બનાવવામાં આવતું હતું. મશીનરીની મદદથી આ મિશ્રણને ઘટ્ટ બનાવી તેને પનીર જેવો આકાર અને ટેક્સચર આપવામાં આવતું હતું. બજારમાં આ પનીર અસલ પનીર જેવું જ દેખાતું હોવાથી સામાન્ય નાગરિકો છેતરાઈ રહ્યા હતા. ટોળકી માત્ર 180થી 220 રૂપિયામાં પનીર વેચતીબજારમાં શુદ્ધ પનીરની કિંમત 400 થી 450 રૂપિયાની આસપાસ હોય છે. નિષ્ણાતોના મતે, જો 1 લિટર દૂધનો ભાવ 57 રૂપિયા હોય, તો 1 કિલો પનીર બનાવવા માટે અંદાજે 6થી 7 લિટર દૂધની જરૂર પડે. જેની પડતર કિંમત જ 380 રૂપિયાથી વધુ થાય છે. આમ છતાં, આ ટોળકી માત્ર 180થી 220 રૂપિયામાં પનીર વેચતી હતી. આટલા સસ્તા ભાવે પનીર મળવું એ જ તેની નકલી હોવાની સૌથી મોટી સાબિતી છે. આરોપી 2 વર્ષથી અલગ-અલગ વિસ્તારોમાં નેટવર્ક ચલાવતોSOGએ દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી 28 લાખ રૂપિયાથી વધુની કિંમતની હાઈટેક મશીનરી જપ્ત કરી છે. આરોપી મહેશ શર્મા છેલ્લા 2 વર્ષથી સુરતના અલગ-અલગ વિસ્તારોમાં આ નેટવર્ક ચલાવતો હતો. અગાઉ ગણેશનગરમાં અને હવે પાંડેસરામાં તેણે મોટો પ્લાન્ટ નાખ્યો હતો. દરરોજ અંદાજે 400 કિલો નકલી પનીર બનાવીને સુરતની નાની ડેરીઓ અને લારી-ગલ્લાઓ પર સપ્લાય કરવામાં આવતું હતું. હજારો કિલો ઝેરી પનીર સુરતીઓ આરોગી ચૂક્યાડીસીપી રાજદીપસિંહ નકુમના જણાવ્યા મુજબ, આ નેટવર્ક છેલ્લા બે વર્ષથી સક્રિય હોવાથી અત્યાર સુધીમાં હજારો કિલો ઝેરી પનીર સુરતીઓ આરોગી ચૂક્યા છે. ખાસ કરીને પનીર ભૂર્જી અને પનીર ટીક્કા જેવી વાનગીઓ પીરસતી હોટલોમાં આ સસ્તું પનીર સપ્લાય થતું હતું. સુરત મહાનગરપાલિકા હવે આ પનીર ખરીદનાર ડેરીઓ અને હોટલો સામે પણ તપાસનો સકંજો કસશે.
બોટાદ જિલ્લાના પાળીયાદ ગામમાં રાજવી પરિવાર દ્વારા પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હનુમાન જયંતિના પાવન દિવસે બોટાદના જાણીતા ગૌરક્ષક સામતભાઈ જેબલીયા દ્વારા કથાના પુરાણીજી, આયોજક ખાચર પ્રતાપભાઈ (પાર્ટી) અને ભાણુભા કુલદીપભાઈનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. સામતભાઈ જેબલીયાએ પુરાણીજી, ખાચર પ્રતાપભાઈ અને ભાણુભા કુલદીપભાઈને રજવાડી સાફા બાંધી, સાફામાં કલંગી લગાડી અને શક્તિ સ્વરૂપે રજવાડી તલવારો અર્પણ કરીને તેમનું રજવાડી ઠાઠથી સન્માન કર્યું હતું. આ સપ્તાહ કથાનું આયોજન પાળીયાદ રાજવી પરિવારના ખાચર પ્રતાપભાઈ (પાર્ટી) દ્વારા પિતૃઓના મોક્ષાર્થે કરવામાં આવ્યું હતું. સન્માન કરનાર સામતભાઈ જેબલીયા બોટાદમાં બહુમુખી પ્રતિભા ધરાવે છે અને અનેક સામાજિક, ધાર્મિક તથા રાજકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. આ શુભ અવસર પર મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
મહેસાણા મહાનગરરપાલિકા બન્યા બાદ પ્રથમ ચૂંટણી યોજાવા જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવતા વોર્ડ નંબર 1 થી 6 માટે 450થી વધુ દાવેદારો સામે આવ્યા છે. જ્યારે બાકી રહેલા 7 થી 13 વોર્ડની આવતીકાલે સેન્સ લેવામાં આવશે. 13 વોર્ડની 52 બેઠક પર ઉમેદવારોની પસંદગી કરવા કવાયતમહેસાણા મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડની ૫૨ બેઠકો માટે આ ચૂંટણી યોજાનાર છે.ભાજપની ટિકિટ મેળવવા માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.જેના પરિણામે અત્યાર સુધીમાં 450 થી વધુ દાવેદારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. પક્ષના નિરીક્ષકો દ્વારા આજે પ્રથમ દિવસે વોર્ડ નંબર 1 થી 6 ના દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા અને તેમની રજૂઆતો લેવામાં આવી હતી. બાકી રહેલા વોર્ડ નંબર 7 થી 13 ના દાવેદારો માટે આવતીકાલે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને યાદી સોંપાશેઆ મહત્વપૂર્ણ પ્રક્રિયા માટે પ્રદેશ ભાજપ દ્વારા ખાસ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજા, કચ્છ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી જયસુખ પટેલ અને પ્રદેશ કારોબારી સભ્ય જીજ્ઞાબેન પંડ્યાનો સમાવેશ થાય છે. આ નિરીક્ષકો દરેક વોર્ડના દાવેદારો સાથે રૂબરૂ મુલાકાત કરી સ્થાનિક સમીકરણો અને ઉમેદવારની ક્ષમતા ચકાસી રહ્યા છે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકો પોતાનો રિપોર્ટ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને સોંપશે, જેના આધારે આખરી ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે.
આજે હનુમાન જયંતી નિમિત્તે શહેરના દરેક હનુમાન મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા હનુમાન કેમ્પ મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તો એ હનુમાનજીના દર્શન કર્યા હતા અને પ્રસાદનો લ્હાવો લીધો હતો. કેમ્પ હનુમાનના મંદિરને વિવિધ પ્રકારના ફૂલોથી શણગારવામાં આવ્યું છે. હનુમાન જયંતીની 251 કિલો માવાની કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. ભક્તોની ભારે ભીડને કારણે મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. 70 હજારથી 1 લાખ લોકો દર્શનનો લાભ લેશે તેવી આશાટ્રસ્ટી મંડળ સભ્ય સરિતભાઈ ચોક્સીએ જણાવ્યું હતું કે, જૂના વર્ષોના અનુભવ પરથી આ વર્ષે 70 હજારથી 1 લાખ લોકો દર્શનનો લાભ લેશે તેવી આશા છે. મંદિર સવારે 6 વાગ્યાથી ભક્તો માટે ખુલ્લું છે. રાત્રે 12થી 12:15 સુધી દર્શન ખુલ્લા રાખવા માટે આર્મીની પરવાનગી લેવામાં આવી છે. સુંદરકાંડ પાઠ, ધજા અને મારુતિ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયાસવારે 7થી 9 વાગ્યા સુધી સુંદરકાંડના પાઠ કરવામાં આવ્યા હતા. સવારે 10 વાગ્યે શ્રી હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સવારે 11 વાગ્યે ધજા ચડાવવામાં આવી હતી. સવારે 10:30 વાગ્યે શ્રી મારુતિ યજ્ઞનો પ્રારંભ થયો, જેની પૂર્ણાહુતિ સાંજે 5 વાગ્યે થશે. 251 કિલો બુંદીનો પ્રસાદ ધરાવવામાં આવશેસાંજે 6:30 વાગ્યે સંધ્યા આરતી થશે. ભોજન અને પ્રસાદનું લગભગ 15 હજાર લોકો માટે ભંડારાનું આયોજન છે. 251 કિલો દૂધના માવાની કેક ધરાવવામાં આવશે. 251 કિલો બુંદીનો પ્રસાદ ધરાવવામાં આવશે અને ભક્તોને વહેંચવામાં આવશે.
હિંમતનગરના ખેડ તસીયા રોડ પર આવેલી રામનગર સોસાયટીમાં રામેશ્વર મંદિરના પરિસરમાં આજે ત્રિદેવાલય નવદશ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે આ પાટોત્સવના હવનનો પ્રારંભ થયો હતો. રામનગર સોસાયટી પરિવાર દ્વારા ગુરુવારે ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતિના પવિત્ર દિવસે દુઃખ ભંજન દાદા હનુમાનજી, ચૌદ ભુવનની ભુવનેશ્વરી જગત જનની મા જગદંબા અને શ્રી શનિદેવના ત્રિદેવાલયનો સંયુક્ત નવદશ પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આ પાટોત્સવ હવનનો પ્રારંભ મુખ્ય યજમાન મુકેશભાઈ ઈશ્વરભાઈ પંચાલના હસ્તે થયો હતો. આચાર્ય વિહાર જયંતિલાલ જોશીની ઉપસ્થિતિમાં વૈદિક શાસ્ત્રોક્ત વિધિ-વિધાન, પૂજન-અર્ચન અને આરાધના સાથે હવન શરૂ કરવામાં આવ્યો હતો. બપોરે 12:30 કલાકે શ્રીફળ હોમ સાથે હવનની પૂર્ણાહુતિ થશે. ત્યારબાદ મહાઆરતી અને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઇ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેનો આજે 2 એપ્રિલે બીજો દિવસ છે. આજની સેન્સ પ્રક્રિયામાં વોર્ડ નંબર 9, 10, 11, 12, 16 અને 18 નંબરના કાર્યકર્તાઓ પોતાની દાવેદારી નોંધાવવા નિરીક્ષકો સમક્ષ સેન્સ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મનપાના પૂર્વ મેયર ડો. પ્રદિપ ડવ અમદાવાદમાં નિરીક્ષક હોવાથી તેમના વતી વોર્ડ નંબર 12માંથી તેમની દાવેદારી તેમના પ્રતિનિધિ દ્વારા નિરીક્ષક સમક્ષ આપવામાં આવશે. બીજા દિવસે પ્રદેશના નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાનું શરૂઆજે સવારે 10 વાગ્યાથી સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં રાજ્ય સરકારના મંત્રી દર્શનાબેન વાઘેલા, જીતુ પટેલ, જીમેશ સેવક, પૂર્વ સાંસદ ભાવનાબેન, યુવા મોરચાના મહામંત્રી ડો. નરેશ દેસાઈ, રાજેન્દ્ર પટેલ, નટુજી ઠાકોર, સુરેશ પટેલ અને સીતાબેન પટેલ નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહી દાવેદારોને સાંભળશે. આજે બાકી રહેલા 6 વોર્ડની યાદી મળી કુલ 18 વોર્ડની યાદી બનાવી પ્રદેશમાં મોકલી આપશે. વોર્ડ નંબર 15માં ભાજપ માટે ચેલેંજિંગરાજકોટ શહેર ભાજપ દ્વારા લેવામાં આવી રહેલ સેન્સ પ્રક્રિયામાં ગઈકાલે પ્રથમ દિવસે 656 લોકોએ દાવેદારી નોંધાવી હતી, જેમાં વોર્ડ નંબર 1માં 73, 2માં 65, 3માં 56, 8માં 52, 4માં 52, 5માં 44, 6માં 57, 7માં 77, 13માં 40, 14માં 70 અને 17માં 45 દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. વોર્ડ નંબર 15માં સૌથી ઓછા 25 દાવેદારો નોંધાયા છે અને આ વોર્ડ ભાજપ માટે ચેલેંજિંગ છે, કારણ કે આ વોર્ડમાં ભાજપ આજ દિવસ સુધી જીતી શક્યું નથી. માટે આ વર્ષે આ વોર્ડ જીતવા માટે પ્રદેશ પ્રમુખ દ્વારા પણ શહેર ભાજપને ચેલેન્જ આપવામાં આવી છે. ડો. પ્રદીપ ડવ સહિતનાની ઉમેદવારીબીજા દિવસની સેન્સમાં પૂર્વ મેયર મેયર ડો. પ્રદીપ ડવ, પૂર્વ શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, પૂર્વ કોર્પોરેટર શિલ્પાબેન જાવિયા, જીતુ કાટોળીયા, દક્ષાબેન વસાણી, ચેતન સુરેજા, અશ્વિન ભોરણીયા, કંચનબેન સિધ્ધપુરા, રાજેશ્રીબેન ડોડીયા, રણજિત સાગઠીયા, નીરૂભા વાઘેલા અને રૂચિતાબેન જોષી દ્વારા ઉમેદવારી કરવામાં આવી છે.
મહેસાણા શહેરના રાધનપુર રોડ પર આવેલી સોસાયટીઓમાં તસ્કરોએ ફરી એકવાર માથું ઉચક્યું છે. તસ્કરોએ એક બંધ બંગલાને નિશાન બનાવી 1.10 લાખની મત્તાની ચોરી કરી હતી. બાદમાં અન્ય એક સોસાયટીમાં ચોરીનો પ્રયાસ કરતા જાગી ગયેલા રહીશોએ છુટા દંડાનો ધા કરી તસ્કરને ભગાવ્યો હતો. તો સામેથી તસ્કરોએ રહીશો પર પથ્થરમારો કરતા ભાગવું પડ્યું હતું. જે બાદ તસ્કરો ફરાર થઈ ગયાં હતાં. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. વતનમાં ગેયલા પરિવારને ઘરને નિશાન બનાવ્યુંમહેસાણાના રાધનપુર રોડ પર આવેલા તિરૂપતી શુકન બંગ્લોઝમાં રહેતા હર્ષદભાઈ રમેશચંદ્ર પટેલ ગત 31 માર્ચના રોજ સવારે પોતાના મકાનને લોક કરી સહપરિવાર વતન જેતલવાસણા ગયા હતા. આ દરમિયાન બંધ મકાનનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ બેડરૂમમાં રહેલા લાકડાના કબાટમાંથી 5 ગ્રામ સોનાની લટકણ, 30 ગ્રામ ચાંદીની બંગડીઓ, 200 ગ્રામ ચાંદીના સિક્કા અને રોકડ રૂ.15 હજાર મળી કુલ રૂ.1,10,000ની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. પડોશીએ જાણ કરતા હર્ષદભાઈએ પરત આવી તપાસ કરતા ચોરી થઈ હોવાનું જણાયું હતું, જે અંગે તેમણે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. લોકોએ ભગાડવાનો પ્રયાસ કરતા તસ્કરોએ પથ્થરમારો કર્યોચોરીની આ ઘટનાની એ જ રાત્રે રાધનપુર રોડ પર આવેલા સી લિંક રોડ વિસ્તારની અન્ય એક સોસાયટીમાં પણ તસ્કરો ત્રાટક્યા હતા. મોડીરાત્રે તસ્કરોએ ચોરી કરવાનો પ્રયાસ કરતા રહીશો જાગી ગયા હતા. રહીશોએ પ્રતિકાર કરતા ગભરાયેલા તસ્કરોએ વળતો પથ્થરમારો શરૂ કર્યો હતો. જોકે રહીશોના ભારે વિરોધ અને હિંમત સામે તસ્કરોને ભાગવાની ફરજ પડી હતી. આ સમગ્ર ઘટના સોસાયટીના CCTV કેમેરામાં કેદ થઈ છે. પોલીસે ચોરીનો ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા તજવીજ હાથ ધરી છે.
પાટણમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી:મંદિરોમાં મારૂતિ યજ્ઞ, છપ્પન ભોગ અને સુંદરકાંડના પાઠ યોજાયા
પાટણ શહેરમાં હનુમાન જયંતિ નિમિત્તે વિવિધ હનુમાન મંદિરોમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. મંદિરોમાં મારૂતિ યજ્ઞ, સુંદરકાંડ, છપ્પનભોગનો અન્નકૂટ અને સુંદર આંગી જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતિના સુભગ સમન્વયે પાટણના અઘોરી બાવાના અખાડા ખાતે આવેલા પંચમુખી હનુમાનજી મંદિરમાં વિશેષ ઉજવણી કરાઈ રહી છે.અહીં હનુમાન દાદાને છપ્પન ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. પંચમુખી દાદા અને પૂજ્ય નર્મદાગીરી બાપુને સુંદર ફૂલોની આંગી કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં સવારથી જ સુંદરકાંડનું આયોજન થયું હતું, જેમાં અમિતાબેન નાયક અને અન્ય કલાકારોએ સંગીતની સુરાવલીઓ સાથે સુંદરકાંડનું પઠન ચાલી રહી છે મોટી સંખ્યામાં ભક્તોએ પંચમુખી હનુમાન દાદાના દર્શન કરી સુંદરકાંડના પાઠનો લાભ લઈ રહ્યા છે શહેરના અન્ય મંદિરો જેવા કે રંગીલા હનુમાન, ભીડભંજન હનુમાન, છબીલા હનુમાન, બળીયા હનુમાન, કલ્યાણ મારૂતિ હનુમાન, બાલા હનુમાન અને ગુણવંતા હનુમાન સહિતના સ્થળોએ પણ મારૂતિ યજ્ઞ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યો છે. આ મંદિરોમાં પણ સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વી.કે. ભૂલા સામે આવેલા શ્રી બાલા હનુમાન મંદિરમાં ગુરુવારે સવારે દાદાની વિશેષ પૂજા અને મહાઆરતીનું આયોજન કરાયું હતું. મંદિર પરિવારે દર્શનાર્થીઓ માટે મહાપ્રસાદ વ્યવસ્થા કરી હતી. બપોરે 4 કલાકે મંદિર પરિસરેથી દાદાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે બગવાડા દરવાજા, હિંગળાચાચર, જુનાગંજ બજાર અને સુભાષચોક જેવા શહેરના રાજમાર્ગો પર ભ્રમણ કરી પરત મંદિરે પહોંચી હતી. રાત્રે 8 વાગ્યે સુંદરકાંડ પાઠનું જાહેર આયોજન કરવામાં આવ્યું હતું. હનુમાન જન્મોત્સવના આ પાવન અવસરે પાટણના રામભક્તો અને શ્રદ્ધાળુઓએ દિવસ દરમિયાન દર્શન અને પ્રસાદનો લાભ લઈ રહ્યા છે
નવસારીના વિરવાડી મંદિરે હનુમાન જયંતીની ઉજવણી:500 વર્ષ જૂના મંદિરનો રોચક ઇતિહાસ અને ભક્તોની આસ્થા
આજે હનુમાન જયંતિના પવિત્ર અવસરે નવસારી જિલ્લાના વિરવાડી સ્થિત 500 વર્ષ જૂના હનુમાન મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. આ પ્રાચીન મંદિર ભક્તો માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. મંદિર સાથે એક રોચક પૌરાણિક દંતકથા જોડાયેલી છે. આમડપોર ગામના દેસાઈ પરિવારના એક સભ્યને સ્વપ્નમાં હનુમાનજી પાણીના ધરામાં હોવાનું અને તેમને બહાર કાઢવાનો આદેશ મળ્યો હતો. ત્યારબાદ તે યુવાન ઉમરાના ઝાડ નીચે વહેતા પાણીના ધરામાં પહોંચતા જ તેમને હનુમાનજીની લાલ પથ્થરવાળી પ્રતિમા મળી હતી. ભક્તિભાવ સાથે આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. વિરવાડી હનુમાન દાદાનું આ બાળસ્વરૂપ હોવાનું મનાય છે. દાવો કરવામાં આવે છે કે સમગ્ર દેશમાં પૂર્વભિમુખ હનુમાનજીના મંદિરો દક્ષિણ ભારતના કોઈ ગામમાં અને નવસારી ખાતે આવેલા વીરવાડી હનુમાનજી મંદિરમાં જ છે. લોકવાયકા મુજબ, કોઈપણ મનોકામના લઈને 45 દિવસ સુધી બાપાની યાચના કરવાથી મુશ્કેલ કાર્યો પણ પાર પડી જાય છે. આ પૌરાણિક મંદિરનો 1982માં રામકથાકાર મોરારીબાપુના હસ્તે આધુનિક સ્વરૂપ અને સુવિધાયુક્ત રીતે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. દર વર્ષે હનુમાન જયંતિ નિમિત્તે અહીં વિશેષ કાર્યક્રમો અને ભંડારાનું આયોજન કરવામાં આવે છે, જેમાં લાખો ભક્તો દર્શનનો લાભ લે છે.નવસારી જિલ્લો NRI પંથક તરીકે જાણીતો હોવાથી, અમેરિકા, લંડન, આફ્રિકા, યુરોપ સહિતના દેશોમાંથી આવતા ભક્તો પણ બાપાના દર્શનનો અચૂક લાભ લે છે.
પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે માખણીયા વિસ્તારમાં લેગસી વેસ્ટના નિકાલના કોન્ટ્રાક્ટમાં સમય મર્યાદામાં પુણ ન થતાં અને વ્યાપક અનિયમિતતાઓ બદલ કડક કાર્યવાહી કરી છે. તેમણે કોન્ટ્રાક્ટર એજન્સી નાગેશ કોર્પોરેશનને ₹6,83,62,240ની રકમ 15 દિવસમાં નગરપાલિકામાં જમા કરાવવાનો આદેશ આપ્યો છે. જો આ રકમ નિયત સમયમાં જમા કરવામાં નહીં આવે તો એજન્સી સામે ભારતીય દંડ સંહિતા (IPC) મુજબ કાયદેસરની કાર્યવાહી કરવાની સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. નગરપાલિકા દ્વારા નાગેશ કોર્પોરેશનને વર્ષ 2023માં 73 ટકા ઊંચા ભાવે કચરાના નિકાલ માટેનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. ચીફ ઓફિસરની તપાસમાં સામે આવ્યું છે કે, એજન્સીએ 1 માર્ચ, 2025ના રોજ સેનેટરી ઇન્સ્પેક્ટર પાસેથી ખોટી રીતે કામ પૂર્ણ થયાનું પ્રમાણપત્ર મેળવી લીધું હતું. રેકોર્ડ મુજબ, એજન્સીને 20 સપ્ટેમ્બર, 2023ના રોજ વર્ક ઓર્ડર મળ્યો હતો, પરંતુ શરૂઆતના ત્રણ મહિના વીજ કનેક્શન ન હોવાથી અને ત્યારબાદ ચોમાસાના કારણે કામગીરી થઈ ન હતી. નિર્ધારિત સમય સુધીમાં લેગસી વેસ્ટનો નિકાલ કરવાનો હોવા છતાં એજન્સીએ તે કામગીરી પૂર્ણ કરી ન હતી. નાણાકીય ગણતરી અને મશીનરીની ક્ષમતા અંગેની તપાસમાં મોટો ખુલાસો થયો છે. એજન્સીએ 25 ઓક્ટોબર, 2024 થી 1 માર્ચ, 2025 સુધીના માત્ર 127 દિવસમાં 2.17 લાખ ટન કચરાનો નિકાલ કર્યો હોવાનો દાવો કર્યો છે, જે ઉપલબ્ધ મશીનોની ક્ષમતા જોતાં અશક્ય છે. વાસ્તવિક ગણતરી મુજબ, એજન્સી આ સમયગાળામાં માત્ર 76,200 મેટ્રિક ટન કચરો જ પ્રોસેસ કરી શકતી હતી. આમ છતાં, એજન્સીએ નગરપાલિકા પાસેથી કુલ ₹10,02,27,135 મેળવી લીધા હતા, જેમાંથી વધારાના ચૂકવાયેલા ₹6,32,01,240 પરત ખેંચવા આદેશ કરાયો છે. દંડની વિગતો મુજબ, એજન્સીએ કામ પૂર્ણ થયાનું સર્ટિફિકેટ મેળવ્યા પછી પણ 1.40 લાખ ટન કચરો પ્રોસેસ કર્યા વગર રાખી મૂક્યો છે. આ બદલ 1 એપ્રિલ, 2026 સુધીનો પ્રતિદિન ₹1,000 લેખે ₹3,97,000નો દંડ, પ્રોસેસ્ડ વેસ્ટના ટ્રાન્સપોર્ટમાં વિલંબ બદલ પ્રતિદિન ₹10,000 લેખે ₹39,70,000 અને ટેન્ડર બીડની જોગવાઈઓના ભંગ બદલ ₹7,94,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આમ, કુલ ₹6,83,62,240ની રકમ વસૂલવાની નોટિસ ફટકારવામાં આવી છે. ચીફ ઓફિસરે જણાવ્યું છે કે એજન્સીની કામગીરી સંતોષકારક રહી નથી અને સરકારી નાણાંની ગેરરીતિ મામલે વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં.
ગાંધીનગર ઉત્તર વિધાનસભા ભારતીય જનતા પાર્ટી અને સહાય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત રમોત્સવ-2026નો ગઈકાલે(1 એપ્રિલ) રાતે સેક્ટર-11 સ્થિત રામકથા મેદાન ખાતે પ્રારંભ થયો હતો. આ મલ્ટીસ્પોર્ટ્સ ઇવેન્ટના ઉદ્ઘાટન સમારોહમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે આ ભવ્ય રમોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ઉદ્ઘાટન પ્રસંગે મેદાનનું વાતાવરણ રમતગમતના ઉત્સાહ અને ખેલદિલીથી ગુંજી ઉઠ્યું હતું. રામકથા મેદાન ખાતે રમોત્સવ-2026નો નાયબ મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભગાંધીનગરના સેક્ટર-11 સ્થિત રામકથા મેદાન ખાતે રમોત્સવ-2026નો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રારંભ કરાયો છે. આ કાર્યક્રમનું સૌથી આકર્ષક પાસું નાયબ મુખ્યમંત્રીની સક્રિય ઉપસ્થિતિ રહી હતી. ઉદ્ઘાટન બાદ મેદાન પર રમતની શરૂઆત કરાવતી વખતે નાયબ મુખ્યમંત્રીએ પોતે બેટિંગ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમણે પ્રોફેશનલ ક્રિકેટરની અદામાં બેટ વડે ફટકા લગાવતા ઉપસ્થિત પ્રેક્ષકો અને ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાજપ પદાધિકારીઓ ઉપસ્થિતનાયબ મુખ્યમંત્રીની આ ખેલદિલીએ સાબિત કર્યું કે રાજકારણની ધમાલ વચ્ચે પણ રમતગમત પ્રત્યેનો તેમનો લગાવ અતૂટ છે.જેને સોશિયલ મીડિયા પર પણ ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે. આ રમોત્સવમાં શહેર ભાજપ પ્રમુખ આશિષભાઈ દવે સહિતના અનેક પદાધિકારીઓ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. ચેસ, વોલીબોલ અને દોડ જેવી વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજનઆ અવસરે નાયબ મુખ્યમંત્રી હર્ષે સંઘવીએ પ્રાસંગિક ઉદબોધન કરી ઉત્તર ધારાસભ્યને શુભેચ્છા પાઠવી હતી.ધારાસભ્ય રીટાબેન પટેલે જણાવ્યું હતું કે, આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક યુવા પ્રતિભાને યોગ્ય મંચ પૂરું પાડવાનો છે. રમોત્સવ-2026 અંતર્ગત માત્ર ક્રિકેટ જ નહીં પરંતુ ચેસ, વોલીબોલ અને દોડ જેવી વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 36-જીએનપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ગાંધીનગરના રમતપ્રેમીઓમાં ઉત્સાહઆ મલ્ટી-સ્પોર્ટ્સ ઇવેન્ટ આગામી દિવસોમાં ગાંધીનગરના રમતપ્રેમીઓ માટે ઉત્સવ સમાન બની રહેશે. સહાય ફાઉન્ડેશન અને ભાજપના કાર્યકરો દ્વારા મેદાન પર ખેલાડીઓ માટે તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રીએ કરેલી બેટિંગે આ રમોત્સવને યાદગાર બનાવી દીધો છે. જેનાથી શહેરના યુવાનોમાં રમતગમત ક્ષેત્રે આગળ વધવાની નવી ઉર્જાનો સંચાર થયો છે.
ધરમપુરના દશોદ્રી ફળિયા વિસ્તારમાં આવેલા એડિશનલ સેશન્સ જજ એમ.એ. મિરઝાના બંધ બંગલામાં અજાણ્યા તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. તસ્કરોએ બંગલામાં પ્રવેશ કરી સામાન વેરવિખેર કર્યો હતો, પરંતુ કોઈ કિંમતી ચીજવસ્તુની ચોરી થઈ ન હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઘટના અંગે ધરમપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, જજ એમ.એ. મિરઝા ગત 28મી માર્ચ, 2026થી રજા પર હોવાથી તેમનો ભાડાનો બંગલો બંધ હતો. આનો લાભ ઉઠાવી તસ્કરોએ બંગલાના પાછળના ભાગે આવેલા ગ્રીલનો દરવાજો ખોલી અંદર પ્રવેશ કર્યો હતો. આ બનાવ ૧લી એપ્રિલના રોજ સવારે નવ વાગ્યાની આસપાસ પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે કોર્ટના પટાવાળા હરેશભાઈ જજનો કોટ લેવા બંગલે પહોંચ્યા હતા. હરેશભાઈએ બંગલાનો પાછળનો દરવાજો ખુલ્લો જોતા તરત જ કોર્ટના રજિસ્ટ્રાર હેમંતભાઈ નટુભાઈ પટેલને જાણ કરી હતી. રજિસ્ટ્રાર અને અન્ય કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તપાસ દરમિયાન, બંગલાની નાની ઓરડીમાં મૂકેલો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. જજ એમ.એ. મિરઝા સાથે વાતચીત કર્યા બાદ સ્પષ્ટ થયું હતું કે બંગલામાંથી કોઈ પણ પ્રકારની માલમત્તા કે ચીજવસ્તુની ચોરી થઈ નથી. તસ્કરો માત્ર ચોરીના ઈરાદે ઘૂસ્યા હતા, પરંતુ સફળ થયા નહોતા. આ અંગે એડિશનલ સેશન્સ કોર્ટમાં રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા હેમંતભાઈ નટુભાઈ પટેલે ધરમપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ધરમપુર પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S) ની કલમ 331(3), 331(4), 305(એ) અને 62 હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના ઉધના વિસ્તારમાં રહેતા આધેડ રેર કેસમાં થતા હાડકાંના ટ્યૂમરના લીધે ચાલવામા તકલીફથી પીડાતા હતા. ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલના 3 વિભાગના ડોક્ટરની ટીમ દ્વારા ટિબિયા હાડકીના અસરગ્રસ્ત ભાગને દૂર કરીને બન્ને પગની ફિબ્યુલા હાડકીઓનો ઉપયોગ કરીને ટિબિયા હાડકીનું પુનર્નિર્માણ કરી 5 કલાક સુધી સફળ સર્જરી કરી તકલીફ દૂર કરી હતી. અઢી વર્ષમાં દુઃખાવો વધ્યો, રાહત ન મળવા સિવિલમાં લવાયાપ્રાપ્ત માહિતી અનુસાર, ઉધના વિસ્તારમાં રહેતા 49 વર્ષીય જિતેશકુમાર ખાખીવાળાને બાળપણમાં થયેલા ફ્રેક્ચર બાદ છેલ્લા ઘણાસમયથી પગ સહિતના ભાગે અસહ્ય પીડા સાથે જીવન જીવતા હતા. પરંતુ છેલ્લા અઢી મહિનાથી જમણા પગમાં વધતો દુ:ખાવો અને સોજો તેમના માટે માનસિક અને શારીરિક રીતે ખૂબ જ કઠિન સમય સાબિત થયો હતો. દવાઓ લીધા છતાં કોઈ રાહત ન મળતા તેઓ નિરાશ થઈ ગયા હતા, જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. ખાનગી હોસ્પિટલમાં અંદાજે 10 લાખનો ખર્ચ કહ્યોજિતેશકુમારની બાયોપ્સીમાં એડામેન્ટિનો જેવા દુર્લભ એટલે કે રેર કેસમાં હાડકાના ટ્યુમરનું નિદાન થયું હતું. આ સાંભળીને તેના પરિવાર ચોકી ગયા હતા. તેમના પરિવારજનો ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખર્ચ પૂછવા ગયા હતા. ત્યાં તેમને અંદાજે 5થી 10 લાખ રૂપિયા અથવા તેથી વધુ ખર્ચ થશે એવુ કહ્યુ હતું, પરંતુ તેમની આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોવાથી આખરે થોડા સમય પહેલા નવી સિવિલમાં પ્લાસ્ટીક સર્જર ડો. નિલેશ કાછડીયા, ઓર્થો. ઓન્કો. ડો. રાહુલ પરમાર સહિતના ડોકટરોની ટીમ દ્વારા દર્દી ચાર-પાંચ કલાક સુધી સર્જરી કરી હતી. મને ફરીથી ચાલવાની આશા છેઃ દર્દીસર્જરી દરમિયાન ટિબિયા હાડકીના અસરગ્રસ્ત ભાગને દૂર કરીને બન્ને પગની ફિબ્યુલા હાડકાઓનો ઉપયોગ કરીને ટિબિયા હાડકાનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું હતું. આ અત્યંત જટિલ અને નિષ્ણાતતા માગતી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો. કેતન નાયકે જણાવ્યું કે દર્દીએ કહ્યુ કે મારો પગ બચશે નહીં એવુ લાગ્યુ હતું. પણ સફળ સર્જરી થતા મને ફરીથી ચાલવાની આશા છે. ઓપરેશન અને સારવાર વિના મુલ્યે થતા મારા લાખો રૂપિયા બચી ગયા હતા.
વડોદરા જિલ્લાના દેણા ચોકડી નજીક આવેલ વિરોદ ગામમાંથી 5.5 ફૂટનો મગર જોવા મળ્યો હતો. જેને પગલે સ્થળ પર પહોંચીને ભારે જહેમત રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. મગરને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. વડોદરા જિલ્લાના દેણા ચોકડી નજીક આવેલ વિરોદ ગામમાંથી રાત્રિના આશરે 11:30 વાગ્યે હેલ્પલાઇન નંબર પર મગર દેખાવાની માહિતી મળી હતી. સિદ્ધાર્થ અમિને આ અંગે યશ તડવીને જાણ કરી હતી. જેને પગલે વિશાલ પટેલ, રોહન વસાવા, આયુષ મિશ્રા અને વરૂણ દીક્ષિત તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. સ્થળ પર પહોંચી તપાસ કરતા આશરે 5.5 ફૂટનો મગર ખેતર નજીક એક ઘર પાસે આવી ગયો હોવાનું જણાયું હતું. ત્યારબાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નીતિન પટેલને જાણ કરવામાં આવી હતી. ગામલોકોના સહકારથી મગરને સુરક્ષિત રીતે પકડી લેવામાં આવ્યો હતો અને બાદમાં વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. આ ઘટનાથી ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જોકે, આજે વિશ્વામિત્રી નદીમાં 417 જેટલા મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે. મગર શેડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી 4 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે. નદી કિનારે શું સાવચેતી રાખવી? નદી કે તળાવમાં મગર હોય તો ત્યાં જવું નહીં કપડા-વાસણ ધોતા નજર પાણી સામે રાખવી નદી તરફ પીઠ રાખીને કપડા-વાસણ ન ધોવા નદીમાં એકલા ન જવું, મોટરથી પાણી ખેંચવું ઢોરને પાણી પીવડાવવા 1 ફૂટથી આગળ ન જવું વનવિભાગનો સંપર્ક કરી સાવચેતીના બોર્ડ મૂકવા
સોલામાં શિવકથાનો પ્રારંભ:ભાડજ સુપર સિટીથી પોથીયાત્રા કાઢવામાં આવી
અમદાવાદના સોલા ખાતે શિવકથાનો પ્રારંભ થયો છે. સાયન્સ સિટી રોડ પર સિમ્સ હોસ્પિટલ સામે આવેલા એએમસી મેદાનમાં 1 એપ્રિલ, 2026થી 9 એપ્રિલ, 2026સુધી આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના પ્રારંભ પૂર્વે ભાડજ સુપર સિટીથી પોથીયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા પટેલ પરેશભાઈ અમૃતલાલ કુંડાળવાળાના નિવાસસ્થાનથી શરૂ થઈ હતી. આ પ્રસંગે નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મોટા બાર કડવા પાટીદાર સમાજ સુધારક મંડળ દ્વારા આ શિવકથાનું આયોજન કરાયું છે. વ્યાસપીઠ પર લંકેશબાપુ બિરાજમાન થઈ શિવકથાનું રસપાન કરાવી રહ્યા છે. આ કથા દરરોજ રાત્રે8:00 થી 11:00 વાગ્યા સુધી યોજાય છે. તેમાં વિવિધ સમાજ અને જ્ઞાતિના શિવભક્તો મોટી સંખ્યામાં હાજરી આપી રહ્યા છે. સભામંડપમાં ભક્તો માટે વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત, વિશિષ્ટ મહાનુભાવો અને દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
કોડીનાર પોલીસે એક જ રાત્રિમાં બે સ્થળોએ દરોડા પાડી ₹29,530 રોકડ સાથે 10 જુગારીઓને ઝડપી પાડ્યા છે. ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રથમ દરોડો કોડીનાર ટાઉન વિસ્તારમાં યુનિયન બેંક પાછળ પાડવામાં આવ્યો હતો. નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે જાહેરમાં જુગાર રમતા પાંચ વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ₹16,410 રોકડા અને 52 ગંજીપાના જપ્ત કરવામાં આવ્યા હતા. બીજા દરોડામાં, માર્કેટિંગ યાર્ડ નજીકથી જાહેરમાં જુગાર રમતા અન્ય પાંચ વ્યક્તિઓને ઝડપી લેવામાં આવ્યા હતા. આ સ્થળેથી ₹13,120 રોકડા અને 52 ગંજીપાના કબજે કરાયા હતા. બંને દરોડાના સંદર્ભમાં કોડીનાર પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ-12 હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે. તમામ 10 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઝડપાયેલા 10 આરોપીઓમાં કોડીનારના વિવિધ વિસ્તારોના રહેવાસીઓનો સમાવેશ થાય છે. પોલીસે તેમની ઓળખ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગીર સોમનાથ પોલીસ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી રહી છે. પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જુગાર, દારૂ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલા તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં વર્ષ 1999માં થયેલી એક હત્યાના કેસમાં સુરત પોલીસને મોટી સફળતા મળી છે. છેલ્લા 27 વર્ષથી પોલીસની આંખમાં ધૂળ નાખી નાસતા ફરતા આરોપી રાજેશ ઉર્ફે રાજેશ્વર ઉર્ફે ગોરેલાલ કાળુ યાદવને ઝોન-4ની પોલીસ ટીમે બિહારના નાલંદા જિલ્લામાંથી દબોચી લીધો છે. મશીન બાબતે થયેલી સામાન્ય અદાવતમાં આરોપીએ તેના સાથીદારો સાથે મળીને એક યુવકની ઘાતકી હત્યા કરી હતી. વર્ષ 1999માં મશીન બાબતે થઈ હતી હત્યાઘટનાની વિગત મુજબ, 29 નવેમ્બર 1999ના રોજ પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જય મહાદેવ નગરથી અપેક્ષા નગર જવાના કાચા રસ્તા પર લોહીયાળ ખેલ ખેલાયો હતો. આરોપી રાજેશ યાદવ અને તેના સહ-આરોપીઓએ ઇન્દ્રદેવ નામના વ્યક્તિ સાથે મશીન બાબતે જૂની અદાવત રાખી હતી. આ અદાવતનો બદલો લેવા માટે આરોપીઓએ ઇન્દ્રદેવ પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ઇન્દ્રદેવની આંખ, નાક, છાતી અને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી તેનું મોત નીપજાવ્યું હતું અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. કોર્ટે વોરન્ટ ઇસ્યુ કર્યું પણ આરોપી હાથ નહોતો આવતોહત્યાના આ ગુનામાં પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, પરંતુ મુખ્ય આરોપી રાજેશ ઉર્ફે ગોરેલાલ પોલીસને સતત ચકમો આપી રહ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં તે બિહારના નાલંદા જિલ્લાના બિંદ ગામનો વતની હોવાનું બહાર આવ્યું હતું. જોકે, પોલીસ જ્યારે પણ તપાસ માટે જતી ત્યારે તે મળી આવતો નહોતો. આખરે નામદાર કોર્ટ દ્વારા તેની વિરુદ્ધ CRPC કલમ-70 મુજબ પકડ વોરન્ટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. પોલીસની અનેક કોશિશ છતાં આરોપી વર્ષો સુધી પોલીસ પકડથી દૂર રહ્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી બિહારમાં ઓપરેશનસુરત ઝોન-4ની ટીમને તાજેતરમાં બાતમી મળી હતી કે નાસતો ફરતો આરોપી રાજેશ બિહારના નાલંદા જિલ્લાના ટીકુલીપર વિસ્તારમાં છુપાઈને રહી રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે PSI બી.ડી. પટેલ, હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ કનુભા અને શક્તિસિંહ ગોવિંદસિંહની એક ટીમ ખાસ બિહાર રવાના કરવામાં આવી હતી. સ્થાનિક સ્તરે તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપી પોતાની ઓળખ છુપાવીને ત્યાં ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો જેથી કોઈને તેના પર શંકા ન જાય. 27 વર્ષે ગુનો કબૂલ્યોબિહારમાં ઓપરેશન પાર પાડી પોલીસ ટીમે 48 વર્ષીય રાજેશ ઉર્ફે રાજેશ્વર યાદવને તેના વતનમાંથી ઝડપી પાડ્યો હતો. સુરત લાવ્યા બાદ તેની કડક પૂછપરછ કરવામાં આવતા તેણે 27 વર્ષ પહેલાં પાંડેસરામાં કરેલી હત્યાનો ગુનો કબૂલી લીધો હતો. તેણે જણાવ્યું હતું કે હત્યા કર્યા બાદ તે સીધો બિહાર ભાગી ગયો હતો અને ત્યાં ખેતીકામમાં જોડાઈ ગયો હતો જેથી ક્યારેય પકડાય નહીં.
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના જંગમાં મમતા બેનર્જીને હરાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ માત્ર બંગાળમાં જ નહીં, પરંતુ હજારો કિલોમીટર દૂર ગુજરાતના સુરતથી પણ મજબૂત વ્યૂહરચના કરી છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ હવે ભાજપનું લક્ષ્ય બંગાળ પર છે. સુરતમાં વસતા લાખો બંગાળી કારીગરો ભાજપના પક્ષમાં મતદાન કરે તે માટે સુરત ભાજપ કાર્યાલય અને 'સુરત બંગાળી સમાજ' દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત કુલ 4 સ્પેશિયલ ટ્રેનો દ્વારા 5000 જેટલા મતદારોને વિનામૂલ્યે પશ્ચિમ બંગાળ પહોંચાડવામાં આવશે. સુરતના ટેક્સટાઇલ અને ડાયમંડ વર્કર્સ બનશે ભાજપના 'ગેમ ચેન્જર'સુરતમાં અંદાજે 2.5 લાખથી વધુ બંગાળી લોકો વસે છે, જેઓ મુખ્યત્વે ડાયમંડ, જ્વેલરી અને ટેક્સટાઇલ માર્કેટમાં મજૂરી અથવા કારીગરીનું કામ કરે છે. આ શ્રમિક વર્ગ મોટો વોટબેંક ધરાવે છે. ચૂંટણીના સમયે રિઝર્વેશન ન મળવાને કારણે ઘણા લોકો વતન જઈ શકતા નથી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા આ શ્રમિકોને સીધા પશ્ચિમ બંગાળ મોકલવાની યોજના ઘડવામાં આવી છે. ભાજપને આશા છે કે, સુરતથી જનારા આ હજારો મતદારો ત્યાં જઈને ભાજપના પક્ષમાં માહોલ બનાવશે. સંપૂર્ણ મફત મુસાફરી, તમામ ખર્ચ ભાજપ કાર્યાલય ઉઠાવશેચૂંટણીના તબક્કાઓને ધ્યાનમાં રાખીને ટ્રેનનું શિડ્યુલ નક્કી કરવામાં આવ્યું છે. સુરત બંગાળી સમાજના અગ્રણી વાસુદેવ અધિકારીએ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં પરિવર્તનની લહેર છે અને તેને સાકાર કરવા માટે આ કામગીરી ચાલી રહી છે. સુરત ભાજપ કાર્યાલય અને બંગાળી સમાજ દ્વારા ટ્રેન સુવિધા એકદમ 'ફ્રી ઓફ કોસ્ટ' રાખવામાં આવી છે. મધ્યમ અને ગરીબ વર્ગના કારીગરો જેઓ મોંઘી ટિકિટ કે પ્લેનનો ખર્ચ ઉઠાવી શકતા નથી, તેમના માટે આ એક સુવર્ણ તક છે. ભાજપ આ માધ્યમથી એ સાબિત કરવા માગે છે કે, તેઓ કાર્યકરો અને મતદારોની પડખે ઉભા છે. 1500 જેટલા મતદારોના ફોર્મ રદઆ સુવિધાનો લાભ માત્ર જે-તે વિસ્તારના સાચા અને નોંધાયેલા મતદારોને જ મળે તે માટે સુરત બંગાળી સમાજ દ્વારા કડક તપાસ કરવામાં આવી છે. વાસુદેવ અધિકારીના જણાવ્યા અનુસાર, ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. જેમના વોટિંગ કાર્ડ અપડેટ નહોતા અથવા જેમના નામ મતદાર યાદીમાં નહોતા, તેવા અંદાજે 1200થી 1500 ફોર્મ રદ SIRના કારણે કરવામાં આવ્યા છે. ટાર્ગેટ 10 લાખ મતોનો, પરિવાર સાથેના જોડાણ પર નજરજોકે, સુરતમાં 2.5 લાખ બંગાળીઓ છે, પરંતુ ભાજપનું માનવું છે કે જો પરિવહન સુવિધા વધુ મોટી હોત તો તેઓ 2 લાખ લોકોને પણ મોકલી શક્યા હોત. આ 5000 મતદારો માત્ર આંકડો નથી, પણ એક મોટું નેટવર્ક છે. આ લોકો જ્યારે પોતાના ગામ જશે ત્યારે તેમના પરિવારના સભ્યોને પણ ભાજપ તરફ વાળશે. ભાજપનો અંદાજ છે કે, આ મુસાફરો દ્વારા તેઓ બંગાળમાં અંદાજે 10થી 12 લાખ મતો પર સીધી કે આડકતરી અસર પાડી શકશે. બંગાળી સમાજની સક્રિયતા, પરિવર્તન માટે કમર કસીસુરત બંગાળી સમાજના સંગઠનો અત્યારે રાત-દિવસ કાર્યરત છે. સમાજના અગ્રણીઓનું કહેવું છે કે, બંગાળમાં વર્ષોથી જે સ્થિતિ છે તેમાં હવે પરિવર્તન જરૂરી છે. સુરતમાં રહીને જે રીતે બંગાળીઓએ પ્રગતિ કરી છે, તેવી જ પ્રગતિ બંગાળમાં પણ થાય તેવો તેમનો ઉદ્દેશ્ય છે. આ માટે ભાજપ કાર્યાલય સાથે સંકલન કરીને યાદીઓ તૈયાર કરવામાં આવી છે અને દરેક મતદારને ટ્રેનની ટિકિટ અને અન્ય સુવિધાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. સમર વેકેશન અને ચૂંટણીનો મેળ બેસાડાયોઅત્યારે ઉનાળાના વેકેશનનો સમય હોવાથી ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળે છે. સામાન્ય રીતે આ સમયે ટિકિટ કન્ફર્મ મળવી અશક્ય હોય છે. ભાજપની આ વ્યૂહરચનાએ શ્રમિકોની વતન જવાની ઈચ્છા અને પક્ષની મત મેળવવાની જરૂરિયાત બંનેને એકસાથે સાંકળી લીધી છે. જે કારીગરો મોંઘી ટિકિટના કારણે જઈ શકતા નહોતા, તેઓ હવે 'ફ્રી ટ્રેન'ની સુવિધા મળતા ઉત્સાહમાં છે.
હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાન મંદિરે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. મોડી રાતથી આખી રાત સુધી અમરેલી સહિત આસપાસના જિલ્લાઓમાંથી શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને દર્શનાર્થે પહોંચ્યા હતા. મંદિરને રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. ભુરખિયા હનુમાન મંદિર અમરેલી અને આસપાસના વિસ્તારો માટે આસ્થાનું પ્રમુખ કેન્દ્ર છે. દર વર્ષે હનુમાન જયંતિ નિમિત્તે, ભક્તો પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે અમરેલીથી લગભગ 40 કિલોમીટર દૂર આવેલા આ મંદિરે પગપાળા યાત્રા કરે છે. આખી રાત પદયાત્રીઓનો પ્રવાહ ચાલુ રહ્યો હતો. પદયાત્રીઓની સુવિધા માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પીવાના પાણી, ઠંડા પીણાં અને નાસ્તા સહિતની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. રાજ્ય કક્ષાના ઉર્જા અને કાયદા વિભાગના પ્રધાન કૌશિક વેકરિયાએ પણ વિવિધ સ્ટોલ અને મંડપની મુલાકાત લઈ સેવાભાવીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ પદયાત્રામાં અમરેલી જિલ્લા પોલીસ પરિવાર પણ જોડાયો હતો. અમરેલીના SP સંજય ખરાત અને DYSP ચિરાગ દેસાઈ સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ પોતાના પરિવાર સાથે પગપાળા ચાલીને ભુરખિયા હનુમાન મંદિરે પહોંચ્યા હતા. તેમણે હનુમાનદાદાને શીશ નમાવી દર્શન કર્યા હતા. મંદિર પરિસરમાં ભજન, કીર્તન અને ડાયરાની રમઝટ જામી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. મંદિરની અંદર દર્શન કરવા માટે લાંબી કતારો જોવા મળી હતી. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
વૉર કે નો વૉર.... 20 મિનિટના ભાષણમાં ઈરાન અને હોર્મુઝ મુદ્દે દુનિયાને શું મેસેજ આપ્યો ટ્રમ્પે?
US Military Victory Claims: અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે એક નિર્ણાયક વળાંક પર આવી ગયું છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં 20 મિનિટનું સંબોધન આપતા અનેક મોટા દાવા કર્યા છે, જેનાથી વિશ્વભરમાં ચર્ચા જાગી છે કે આ જંગ હવે અંત તરફ છે કે વધુ ભયાનક બનશે? ટ્રમ્પે પોતાના ભાષણમાં સૈન્ય વિજયનો હુંકાર ભરતા જણાવ્યું કે છેલ્લા ચાર અઠવાડિયામાં અમેરિકન સેનાએ અત્યંત ઝડપી અને નિર્ણાયક જીત મેળવી છે. તેમણે દાવો કર્યો કે ઈરાનની નૌકાદળ અને વાયુસેના હવે લગભગ ખતમ થઈ ચૂકી છે અને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સનું કમાન્ડ નેટવર્ક પણ તોડી પાડવામાં આવ્યું છે. ટ્રમ્પના મતે, ઈરાનની મિસાઇલ અને ડ્રોન ક્ષમતાને એટલી હદે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે કે યુદ્ધના ઇતિહાસમાં આટલા ઓછા સમયમાં કોઈ દુશ્મને આટલી મોટી પાયમાલી વેઠી નથી. જીતના દાવા વચ્ચે જંગ ચાલુ રહેવાના સંકેત
ભાવનગરના ઈસ્કોન કલબથી આગળ વિક્ટોરીયા પાર્કની પાછળના ભાગે 1 એપ્રિલની મોડીરાતે લૂંટની ઘટના સામે આવી છે. શહેરના કાળીયાબીડ વિસ્તારમાં શક્તિ માઁના મંદિર પાસે રહેતો મનદિપસિંહ દિલીપસિંહ યાદવ (ઉં.વ 25) ગતરાત્રે 11 વાગ્યાના અરસામાં તેની મંગેતર દિશા ડાભી સાથે બાઈક ઉપર આંટો મારવા માટે નીકળ્યો હતો. તે વેળાએ શહેરના વિક્ટોરીયા પાર્કની પાછળના ભાગે ઈસ્કોન કલબથી સાગવાડી જવાના માર્ગ પર વળાંકમાં બન્ને બાઈક પાર્ક કરીને વાતો કરી રહ્યાં હતાં. આ સમયે બાઇકમાં સવાર બે શખસે આવી યુવકને છરી બતાવી તમામ સામાન આપી દેવાનું કહ્યું હતું. યુવકને છરીના બે ઘા માર્યાઆ સમયે હાથાપાઈ થતાં તસ્કરોએ મનદિપસિંહને છરીના બે ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી તેનું પાકીટ તેમજ દિશાબેનનું પર્સ અને મોબાઈલ મળી અંદાજિત 8થી 10 હજાર રોકડની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતાં. દરમિયાન ઈજાગ્રસ્ત મનદિપસિંહને ગંભીર હાલતમાં ભાવનગર સર. ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ઘટનાની જાણ થતા લોકલ ક્રાઈમ બ્રાંચ, એસઓજી અને નિલમબાગ પોલીસનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે ઈજાગ્રસ્ત યુવક અને યુવતીની પૂછપરછ બાદ હુમલાખોર શખસોને ઝડપી પાડવા કવાયત્ હાથ ધરી છે.
ચૈત્રી પૂનમ એટલે શક્તિની આરાધનાનો પવિત્ર દિવસ. સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે બિરાજમાન મા ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું છે. આકરી ગરમી અને 40 ડિગ્રી તાપમાન પણ ભક્તોની શ્રદ્ધાને ડગાવી શક્યું નથી. અંદાજે દોઢ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પદયાત્રીઓથી ઉભરાયા હાઈવે: 150થી વધુ સેવા કેમ્પો કાર્યરત ચૈત્રી પૂનમે ચોટીલા ડુંગર પર ધજા ચડાવવાનું વિશેષ મહત્વ હોવાથી ઉત્તર ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરથી હજારો ભક્તો પગપાળા ચોટીલા પહોંચી રહ્યા છે. વિરમગામ-લખતર-સુરેન્દ્રનગર હાઈવે હાલ પદયાત્રીઓથી ભરાઈ ગયો છે. ઝાલાવાડની ધરતી પર સેવાભાવી યુવાનો અને સંસ્થાઓ દ્વારા 150થી વધુ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. ડુંગર પરની વ્યવસ્થા: 24 કલાક પ્રસાદ અને ગરમીથી રક્ષણ ચોટીલા ડુંગર મહંત પરિવારના વસંતગીરીબાપુના જણાવ્યા અનુસાર, ભક્તોના ભારે ધસારાને ધ્યાને રાખીને પૂનમના દિવસે ૨૪ કલાક પ્રસાદની વ્યવસ્થા ચાલુ રાખવામાં આવી છે. કાળઝાળ ગરમીને કારણે તળેટીથી ડુંગર સુધીના માર્ગ પર લીલી તાડપત્રી બાંધીને છાંયો કરવામાં આવ્યો છે, જેથી ભક્તોને ચઢાણ વખતે રાહત રહે. સાથે જ પીવાના ઠંડા પાણીની ઠેર-ઠેર વ્યવસ્થા ઉભી કરાઈ છે. ચોટીલા પહોંચવાના વિવિધ માર્ગો સમગ્ર ગુજરાતમાંથી ભક્તો અલગ-અલગ રસ્તેથી ચોટીલા પહોંચી રહ્યા છે: ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વહીવટી સજ્જતા લીંબડી ડીવાયએસપી વી.એમ. રબારીના માર્ગદર્શન હેઠળ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. ભાદરવી પૂનમે જે રીતે અંબાજીનું મહત્વ છે, તે જ રીતે ચૈત્રી પૂનમે ચોટીલામાં ભક્તિ, શ્રદ્ધા અને સેવાનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે.
રાત ઓછી વેશ ઝાઝા:ચૂંટણીની તૈયારી માટે માત્ર 25 દિવસનો સમય, અગાઉ 36 દિ’ મળ્યા હતા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીની જાહેરાત થઇ ચૂકી છે. જે મુજબ 26 એપ્રિલના રોજ મતદાન અને 28 એપ્રિલના રોજ મતગણતરી યોજાશે. આ વખતની ચૂંટણીની જાહેરાતથી માંડી પરિણામ જાહેર થવા સુધી માત્ર 25 દિવસનો સમયગાળો મળે છે. જે ગત વખતની ચૂંટણી કરતાં 11 દિવસ ઓછો છે. કચ્છમાં 9 તાલુકા પંચાયત 1 જિલ્લા પંચાયત અને 1 મહાનગરપાલિકાની ચુંટણી યોજાવાની છે. ગાંધીધામ મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો પર ચુંટણી યોજાશે જ્યારે 5 નગરપાલિકામાં અંજાર, માંડવી, ભુજ, મુન્દ્રા-બારોઇ, નખત્રાણાના 43 વોર્ડની 172 બેઠકો, કચ્છની 9 તાલુકા પંચાયતોના 186 સીટ જ્યારે જિલ્લા પંચાયતની 38 સીટ પર મતદાન થવાનું છે. ત્યારે ઉમેદવાર પસંદગી, ફોર્મ ભરવા, પ્રચાર પ્રસાર અને અન્ય તૈયારી માટે માત્ર 25 દિવસનો સમયગાળો હોવાથી કચ્છમાં ચુંટણી જાહેર થતા જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગાંધીધામ મહાનગરપાલિકાના 13 વોર્ડ માટે પ્રથમવાર જામશે ખરાખરીનો જંગમનપા વિસ્તારમાં મર્જ થયેલા 11 ગામના મતદારોએ અત્યાર સુધી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પક્ષીય ધોરણે મતદાન કર્યું નહતું, પહેલીવાર પક્ષના પ્રતિક પર લડાતી ચૂંટણીમાં ભાગ લેશે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગાંધીધામ મનપાના 13 વોર્ડ માટે સામાન્ય ચૂંટણી યોજવાની વિધિવત જાહેરાત આજે કરી દીધી છે. આ સાથે કડક આચારસંહિતા અમલી બનવાની સાથે સાથે શહેરમાં ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થઇ ગયો છે. શહેરના 52 વોર્ડમાં નગરસેવકોને ચૂંટવા માટે મતદાર પોતાના મતાધિકારીનો ઉપયોગ કરશે. ગાંધીધામ મનપાની ચૂંટણીમાં 2 લાખ 15 હજાર 313 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને 52 ઉમેદવારોને ચૂંટશે. મનપામાં 1 લાખ 12 હજાર 250 પુરૂષ અને 1 લાખ 03 હજાર 059 સ્ત્રી તેમજ 4 અન્ય મતદારો મતદાન કરી શકશે. મનપાની ચૂંટણી માટે 234 મતદાન મથકો રહેશે સાથે જ મનપા માટે 3 આર.ઓ. અને 3 એ.આર.ઓ.ની નિમણુંક વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. ગાંધીધામ મનપાની પ્રથમવાર ચૂંટણી યોજાઇ રહી છે. ભાજેપ ઉમેદવાર માટે કડક અને પારદર્શક માપદંડ નક્કી કર્યાસ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી જિલ્લા ભાજપ દ્વારા ઉમેદવાર પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પક્ષ દ્વારા ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો માટે વિશેષ ફોર્મ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં વિગતવાર માહિતી ફરજિયાત કરવામાં આવી છે. ઉમેદવારોએ પોતાના સોશિયલ મેડિયામાં સક્રિયતા અંગે સંપૂર્ણ વિગતો આપવી પડશે, જેમાં ફોલોઅર્સની સંખ્યા અને વિવિધ પ્લેટફોર્મ પરની હાજરીનો સમાવેશ થાય છે. ઉપરાંત ઉમેદવાર સામે નોંધાયેલા પોલીસ કેસોની સંખ્યા તથા તેની વિગત પણ રજૂ કરવી ફરજિયાત રહેશે. આ સાથે ઉમેદવારોએ સરકારી સંસ્થાઓ તથા એનજીઓમાં સંભાળેલી જવાબદારીઓ, પક્ષમાં વર્તમાન હોદ્દો, પ્રાથમિક અને સક્રિય સભ્યપદની વિગતો પણ આપવાની રહેશે. જિલ્લા, મંડળ/વોર્ડ, વિધાનસભા અને લોકસભા સીટની સંપૂર્ણ માહિતી સાથે અરજી કરવાની રહેશે. ધારાસભ્યો-સાંસદની ભલામણ નહીં ચાલેચૂંટણી પૂર્વે યોજાયેલી બેઠકમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા ટિકિટ ફાળવણી અને કાર્યપદ્ધતિ અંગે કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. પક્ષે કાર્યકરોને કેન્દ્રમાં રાખી નિર્ણય લેવાનો ભાર મૂક્યો છે અને સાંસદ-ધારાસભ્યો દ્વારા વ્યક્તિગત આધાર પર ટિકિટ કાપવાની પ્રથા ન અપનાવવા સૂચના આપી છે. ટિકિટ ફાળવણીમાં જૂના અને સંનિષ્ઠ કાર્યકરોને ન્યાય મળે તે માટે ખાસ ધ્યાન રાખવાની સાથે સેન્સ કમિટીને લોબિંગ અને દબાણ કરનારાઓના નામ અલગથી નોંધવા જણાવાયું છે. અનામિક પત્રો, સીડી અથવા પેનડ્રાઈવ દ્વારા આવતી ફરિયાદોને સ્વીકારવામાં નહીં આવે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. આ મુદ્દાઓ પર ચૂંટણીનો જંગ ખેલાશેચૂંટણીનું રણશીંગુ ફૂંકાઇ ચૂક્યું છે, ત્યારે આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દા પર ચૂંટણી લડાશે, જેમાં નગરપાલિકા વિસ્તારોમાં રોડ, સફાઇ, ગટર, પાણી સહિતના મુદ્દાઓ બાબતે લડાશે જ્યારે તાલુકા પંચાયતની ચૂંટણીમાં સ્થાનિક સ્તરે વિવિધ ગામોમાં ગૌચર પર થયેલા દબાણો, પવનચક્કીઓ દ્વારા સીમ વિસ્તારમાં વૃક્ષોનું નિકંદન અને ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ ચર્ચામાં રહ્યા છે, ત્યારે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ વખતે લોકો મતદાન કરશે. ભાસ્કર એક્સપ્લેનરમનપામાં નવી બોડી અસ્તિત્વમાં આવ્યા પછી શું બદલાશે? અસ્તિત્વમાં આવનારી નવી બોડીના વહીવટમાં સૌથી મોટો ફેરફાર શું રહેશે?જવાબ : કોર્પોરેશનમાં નીતિ વિષયક બાબતોમાં સ્થાયી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટી) પાસે સૌથી વધુ સત્તા હોય છે. ઉપરાંત કમિશનર વહીવટી વડા હોવાથી તમામ કામોની અમલવારી તેમના દ્વારા થાય છે. વિવિધ સમિતિઓ દ્વારા સેવા સંબંધિત કાર્યોનું વિકેન્દ્રીકરણ થવાથી માળખાકીય કામોમાં ઝડપી નિર્ણય લઈ શકાય છે. સામાન્ય નાગરિકોને રોજિંદા કામો માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે જવાની જરૂર રહેતી નથી. સરકારી કામગીરીમાં કેવા પ્રકારના ફેરફાર આવશે?જવાબ : કમિશનર વહીવટી વડા હોવાથી પ્રજાના રોજિંદા કામો, જેમ કે મિલ્કત નામ ફેરફાર, નકશા મંજૂરી, પાણી અને ગટર કનેક્શન, તેમજ વેરા સંબંધિત કામગીરી સીધી અથવા તેમના તાબામાં પૂર્ણ થાય છે. ઘણીવાર આ કામો નાયબ કમિશનર કક્ષાના અધિકારીઓ દ્વારા પણ પૂર્ણ થઈ શકે છે. સરકારી ગ્રાન્ટમાં થનારા ફેરફારો?જવાબ : કોર્પોરેશનમાં માળખાકીય પ્રોજેક્ટ્સ જેમ કે રેલવે ઓવરબ્રિજ, અંડરબ્રિજ, કમ્યુનિટી હોલ, પે એન્ડ પાર્કિંગ જેવી યોજનાઓ માટે ગ્રાન્ટ અને લોન મળી શકે છે. હવે કેટલીક કોર્પોરેશનો બોન્ડ દ્વારા પણ નાણાકીય વ્યવસ્થા ઉભી કરે છે. રાજ્ય, કેન્દ્ર સરકાર અને નાણાકીય સંસ્થાઓ પાસેથી પૂરતી સહાય મળી રહે છે. ચૂંટાયેલી પાંખની સત્તામાં વધારો...જવાબ : લોકસભા અને વિધાનસભાની જેમ, કોર્પોરેશનમાં પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પોતાના વિસ્તારમાં નિશ્ચિત મર્યાદામાં વિકાસ કામો સૂચવવાની સત્તા હોય છે. બજેટમાં જોગવાઈ કરીને અને બોર્ડની મંજૂરીથી આ કામો હાથ ધરવામાં આવે છે. હાલ આવા ફંડમાંથી જાહેર સ્થળોએ બાંકડા વગેરે મૂકવામાં આવે છે, તેમજ અન્ય હેતુઓ માટે પણ તેનો ઉપયોગ થઈ શકે છે. સત્તાધારી પક્ષની કામગીરી અને સુવિધામાં ફેરફારજવાબ : કોર્પોરેશન બન્યા બાદ મેયરને રહેવાની સુવિધા, ટેલિફોન, મોબાઇલ અને અન્ય ભથ્થાઓ મળે છે. સેમિનાર અને મીટિંગ માટે દેશ-વિદેશ પ્રવાસનો ખર્ચ પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને અન્ય સમિતિઓના ચેરમેનને વાહન સહિતની સુવિધાઓ આપવામાં આવે છે. નગરસેવકોના બજેટમાં કોઈ ફેરફાર?જવાબ : નગરસેવકોને પોતાના વિસ્તારમાં વિકાસ કામો કરવા માટે કોર્પોરેશનની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને બજેટમાં જોગવાઈ કરવામાં આવે છે અને બોર્ડ દ્વારા રકમ નક્કી થાય છે. મનપામાં ભળેલા ગામોમાં કાર્યો કેવી રીતે થશે?જવાબ : નવા વિસ્તારોમાં પાણી, ગટર, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, કમ્યુનિટી હોલ, સ્મશાન, જનસેવા કેન્દ્રો, આરોગ્ય કેન્દ્રો, એમ્બ્યુલન્સ અને ફાયર સેવા જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. ઉપરાંત રિંગ રોડ, બાયપાસ, નવા સ્ટેશન-સ્ટોપ અને સિટી બસ સેવા પણ શરૂ થશે. - રમેશકુમાર પી. જોષી, નિવૃત્ત ચીફ ઓફિસર, ડેપ્યુટી સિવિલ એન્જિનિયર પાંચ નગરપાલિકાના મતદારોની સંખ્યા 2021માં 5 પાલિકામાં ભાજપ, બે તાલુકા પંચાયતમાં કોંગ્રેસ જીતી હતીનોંધનીય છે કે પાંચ વર્ષ પહેલા 2021માં યોજાયેલી ચૂંટણી વખતે કચ્છ જિલ્લાએ ફરી કમળ સાથે રહી ભાજપને એક તરફી વિજયી અપાવ્યો હતો. માત્ર બે તા.પં. સિવાય જી.પં., 5 ન.પા. અને 8 તા.પં.માં ભાજપનો જ્વલંત વિજય થયો હતો. પાંચેય નગરપાલિકામાં ભાજપની જીત થઈ હતી. ભૂજની 44 પૈકી ભાજપે 36 અને કોંગ્રેસે 8 બેઠકો મેળવી હતી. અબડાસા અને લખપત તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો વિજય થયો હતો.
સાહિત્ય, શિક્ષણ અને ગ્રામ પુનરૂત્થાન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનારી પ્રતિભાઓને-સંસ્થાઓને પુરસ્કારવાના ઉદ્દેશથી રચાયેલા શ્રીમનુભાઇ પંચોળી ‘દર્શક’ ફાઉન્ડેશનનો વર્ષ 2025 ગ્રામ પુનર્રચના એવોર્ડ કચ્છના ‘ભોજાય સર્વોદય ટ્રસ્ટ’ને તથા સાહિત્ય એવોર્ડ સર્જનાત્મક લેખક મોહન પરમારને જાહેર કરાયો છે. શાલ, એક લાખનો ચેક અને તામ્રપત્ર સાથેનો આ એવોર્ડ ક્યારે અને ક્યાં અપાશે તે ટુંક સમયમાં જાહેર કરાશે. ફાઉન્ડેશનનાં અજય રાવલ અને સંજય ચૌધરીના જણાવ્યાનુસાર કચ્છના દુર્ગમ અને સરહદી પછાત વિસ્તારોમાં આરોગ્ય વિષયક સેવાઓની ખોટ પુરવા લીલાધરભાઇ ગડા ઉર્ફે ‘અધા’ એ 1996માં જેની સ્થાપના કરીએ ‘ભોજાય સર્વોદય ટ્રસ્ટ’ની તમામ સેવાકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર ગામડા અને ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ છે. આ ટ્રસ્ટ દ્વારા મહિલાઓને અને ખાસ કરીને ગર્ભાશયને લગતાં ગંભીર રોગ-કેન્સર સહિતની અત્યાધુનિક ઓપરેશન થિયેટર અને તજજ્ઞ તબીબો-મોબાઇલ યુનિટ દ્વારા સારવાર કરવામાં આવે છે. ઉપરાંત ટ્રસ્ટ દ્વારા માનસિક રીતે વિક્ષિપ્ત બાળકો માટે માનસ મંદિર નિવાસી શાળા, આંખની હોસ્પિટલ તથા દર મહિને 300 ડાયાલિસીસ કરતું સેન્ટર પણ ચલાવાય છે. સાહિત્ય ક્ષેત્રે એવોર્ડ મેળવનારા મોહન પટેલ વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર ઉપરાંચ વિવેચક પણ છે. 1970થી લેખન યાત્રાનો આરંભ કર્યો તેમના સાહિત્યમાં ગ્રામ્ય અને પછાત વર્ગના લોકોની સમયસ્યાઓનું સચોટ પ્રતિબિંબ પડે છે. તેમના ‘અચંબો’ વાર્તા સંગ્રહને 2011માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ પ્રાપ્ત છે. કચ્છને ચોથો દર્શક એવોર્ડ મળ્યો1992થી આ ‘દર્શક એવોર્ડ’ અપાય છે. 2000માં કચ્છના લેખક-સાહિત્યકાર ડો. ધીરેન્દ્ર મહેતાને સાહિત્યનો અને ગ્રામ સ્વરાજ સંઘ નીલપર (તા. રાપર)ને ગ્રામોત્થાનનો આ એવોર્ડ એનાયત થયેલો. 2006માં કાંતિસેન શ્રોફ ‘કાકા’ને મળ્યા બાદ ભોજાય સર્વોદય ટ્રસ્ટને ચોથો દર્શક ફાઉન્ડેશન એવોર્ડ એનાયત થશે. 2009માં વિનેશભાઇ અંતાણીને સાહિત્યક્ષેત્રનો એવોર્ડ મળ્યો હતો.
આરોગ્ય વિભાગમાં ફેરબદલી:આરોગ્ય વિભાગમાં 32 CHOની આંતરિક ફેરબદલીના આદેશ
કચ્છ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા આંતરિક બદલીઓનો કરવામાં આવી છે. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા 32 કોમ્યુનિટી હેલ્થ ઓફિસર્સ (CHO) ની બદલીના આદેશ જારી કરવામાં આવ્યા છે. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને સબ-સેન્ટરો પર ફરજ બજાવતા આ કર્મચારીઓની બદલી તેઓની સ્વ-વિનંતીના આધારે કરવામાં આવી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કરવામાં આવેલા આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ તમામ બદલીઓ કર્મચારીઓની અંગત વિનંતીથી થઈ હોવાથી તેમને નિયમ મુજબ મળવાપાત્ર કોઈ પણ પ્રકારનું ભથ્થું કે હાજર સમયનો લાભ મળશે નહીં. આ આદેશનો અમલ તાત્કાલિક અસરથી કરવા માટે સંબંધિત તાલુકા હેલ્થ ઓફિસરોને સૂચના આપી દેવામાં આવી છે. આ બદલીઓમાં લખપત, ભુજ અને અબડાસામાંથી 5-5 CHO ની અન્યત્ર બદલી થઈ છે. આ ઉપરાંત રાપરમાંથી 2, મુન્દ્રામાંથી 2, નખત્રાણામાંથી ૩, ભચાઉમાંથી ૩ અને અંજાર તાલુકામાંથી 4 તેમજ માંડવીમાંથી 1 કર્મચારીની બદલી કરવામાં આવી છે. નિમણૂકની વાત કરીએ તો, સૌથી વધુ 15 જેટલા CHO ને ભુજ તાલુકાના વિવિધ સબ-સેન્ટરોમાં સ્થાન મળ્યું છે, જ્યારે અંજારમાં 5, ભચાઉમાં ૩, નખત્રાણામાં ૩, ગાંધીધામમાં ૨, માંડવીમાં 1 અને અબડાસામાં 1 કર્મચારીની નિમણૂક કરવામાં આવી છે. આ ફેરબદલીના કારણે લાંબા સમયથી પોતાના વતન કે અનુકૂળ સ્થળની રાહ જોતા આરોગ્ય કર્મચારીઓને મોટી રાહત મળી છે.
કચ્છમાં ચૂંટણી માટે તંત્ર સજ્જ:વિવિધ વિભાગોને સોંપાઈ જવાબદારીઓ
આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લામાં તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગના માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગોના અધિકારીઓને અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે પાર પડે તે માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણી ખર્ચની દેખરેખ, મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ, પોસ્ટલ બેલેટ વ્યવસ્થા, આદર્શ આચાર સંહિતાનું પાલન તેમજ SVEEP કાર્યક્રમ દ્વારા મતદારોમાં જાગૃતિ લાવવાની કામગીરી હાથ ધરાશે. સાથે જ તાલીમ કાર્યક્રમો, ઈ-ગવર્નન્સ મેનેજમેન્ટ અને સ્ટાફ/મેનપાવર મેનેજમેન્ટ માટે પણ અલગ અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. મતદાન કેન્દ્રોને સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ તરીકે વર્ગીકૃત કરી સુરક્ષા માટે વિશેષ આયોજન કરવામાં આવશે. પોલીસ વિભાગ દ્વારા સિક્યુરિટી ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવશે. જિલ્લા તંત્ર દ્વારા તમામ પ્રક્રિયાઓનું સંકલન કરી સમયસર અહેવાલ રાજ્ય ચૂંટણી આયોગને પાઠવવામાં આવશે. આ તૈયારીઓના પગલે કચ્છ જિલ્લામાં ચૂંટણી શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે યોજાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કયા અધિકારીને કઈ જવાબદારી સોંપાઈ
આર્ટેમિસ-2 : 50 વર્ષે નાસાનું સૌથી મોટું સમાનવ અવકાશી મિશન
- 1972માં એપોલો મિશન દરમિયાન અવકાશયાત્રીઓ ચંદ્રનું ચક્કર મારીને પરત આવ્યા હતા, આર્ટેમિસ-2 પણ ચંદ્રનું ચક્કર મારી પરત આવશે - એપોલો-13 મિશન બાદ નાસાનું આ પહેલું સમાનવ અભિયાન છે. આ અંદાજે પાંચ દાયકા બાદ પહેલું મોટું માનવ અભિયાન છે જેમાં અવકાશયાત્રીઓ 10 દિવસ અવકાશમાં પસાર કરશે. તેમાં ત્રણ પુરુષો અને એક મહિલાનો સમાવેશ થાય છે : અંતરિક્ષ યાત્રીઓ દ્વારા આ દરમિયાન ચંદ્ર ઉપર જીવન રક્ષક સંસાધનો, કોમ્યુનિકેશનના સંસાધનો, નેવિગેશન જેવા તમામ ફિચર્સની ચકાસણી કરવામાં આવશે. નાસાએ સૌથી પહેલાં 2022માં આર્ટેમિસ મિશન શરૂ કર્યું હતું. તે સમયે નાસાએ માનવરહિત યાન ચંદ્ર તરફ મોકલ્યું હતું.
શિક્ષકો માટે મહત્વની જાહેરાત:પ્રાથમિક શિક્ષકો માટે ઓનલાઇન જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો માટે જિલ્લાફેર બદલી પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. વધ-ઘટ અને આંતરિક જિલ્લાફેર બદલીની કામગીરી પૂર્ણ થયા બાદ હવે જિલ્લા ફેર બદલી કેમ્પ માટેનું શેડ્યુઅલ જાહેર કરાયું છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી જૈમિન પટેલ દ્વારા કરાયેલી રજૂઆતને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવાયો છે. પ્રા. શિક્ષણ નિયામક પી. કે. ત્રિવેદી દ્વારા બહાર પાડેલી સૂચના મુજબ, જિલ્લા અને નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક (ધો.1 થી 5) અને ઉચ્ચ પ્રાથમિક (ધો.6 થી 8) શાળાના તમામ માધ્યમના શિક્ષકો માટે જિલ્લાફેર બદલીની ઓનલાઈન અરજી 21થી 23 એપ્રિલ દરમિયાન સ્વીકારવામાં આવશે. શિક્ષકોને અરજી કરતી વખતે શિક્ષણ વિભાગના ઠરાવ, નિયમો અને માર્ગદર્શિકાનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ જ ઓનલાઈન ફોર્મ ભરવા સૂચના આપવામાં આવી છે. એકવાર અરજી સબમિટ થયા બાદ તેમાં કોઈ ફેરફાર કરવાની મંજૂરી નહીં મળે. પ્રથમ તબક્કાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ઉપલબ્ધ ખાલી જગ્યાઓ મુજબ આગળના તબક્કાની તારીખો વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. શિક્ષકોને જિલ્લા ફેર બદલી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી સત્તાવાર વેબસાઈટ પર નજર રાખવાની સલાહ અપાઈ છે. જિલ્લા ફેર બદલીના આદેશો કોઈ પણ સંજોગોમાં રદ નહીં થાય તેવું પણ સ્પષ્ટ કરાયું છે.
વિકાસ કામોની સમીક્ષા કરાઈ:ગાંધીનગરથી આવેલ ઉ. અધિકારીએ કરી ભુજમાં માર્ગ, ડ્રેનેજ-સફાઈની સમીક્ષા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 26 એપ્રિલની જાહેરાત થતા રાજકીય માહોલ ગરમાયો છે અને આગામી 25 દિવસ દરમિયાન રાજકીય ગતિવિધિઓ તેજ બનશે. આ વચ્ચે ભુજ શહેરમાં 30 માર્ચના રોજ સીએમ કાર્યાલયના નિર્દેશ મુજબ ઉચ્ચ કક્ષાના અધિકારીઓની ટીમે અચાનક મુલાકાત લીધી હતી, જેને લઈને સુધરાઈ અને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ જાગી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ટીમ પાસે શહેરના વિકાસ કામોની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ હતી. અધિકારીઓએ શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને માર્ગ, ડ્રેનેજ અને સફાઈ જેવા કામોની સ્થળ પર જ તપાસ કરી હતી. ખાસ કરીને સ્વચ્છતા સંબંધિત કામગીરીમાં કોઈ ખામી રહી ગઈ છે કે નહીં તે મુદ્દે પણ વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સરકાર તરફથી મળતી ગ્રાન્ટ હેઠળ ચાલી રહેલા પ્રોજેક્ટ્સની હાલત, ગુણવત્તા અને પ્રગતિની સમીક્ષા પણ આ મુલાકાતનો મુખ્ય હેતુ હોવાનું જાણવા મળે છે. આ મુદ્દે ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર ટ્વિંકલ પટેલે જણાવ્યું હતું કે, સીએમઓના આદેશ મુજબ અધિકારીઓ શહેરની મુલાકાતે આવ્યા હતા અને ચાલી રહેલા વિકાસ કાર્યોની સ્થિતિ જાણવા માટે આ તપાસ કરવામાં આવી હતી. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, સરકાર દ્વારા આપવામાં આવેલી ગ્રાન્ટના યોગ્ય ઉપયોગ અને કામોની ગુણવત્તા જાળવવા માટે આવી ચકાસણીઓ સામાન્ય પ્રક્રિયાનો ભાગ છે. નગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી હોવાથી નવા પ્રોજેક્ટ્સ અથવા ઠરાવો શક્ય નથી, તેથી ચાલુ કામોને ઝડપથી પૂર્ણ કરવા માટે વિવિધ શાખાના અધિકારીઓ પર દબાણ વધવાની શક્યતા છે. નોંધનીય છે કે, સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત પણ આવી અચાનક તપાસો થતી રહે છે. થોડા સમય પહેલા માંડવીમાં પણ આવી ટીમ પહોંચી હતી. જોકે, ભુજની મુલાકાતે આવેલા અધિકારીઓ વિશે સ્પષ્ટ માહિતી બહાર આવી નથી, જેના કારણે આ મુલાકાત અંગે અનેક તર્કવિતર્કો ચાલી રહ્યા છે.
નિમણૂંક:પશ્ચિમ કચ્છને 2 ડીવાયએસપી મળ્યા એ પણ ચાર્જમાં !
સરહદી કચ્છ જિલ્લો સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વનો છે, અહીં રણ, ક્રીક અને દરિયાની સરહદે પાકિસ્તાન આવેલું છે. જેથી દેશ વિરોધી પ્રવૃતિ અટકાવવા અને કાયદો - વ્યવસ્થાની સ્થિતિ જાળવવી રાખવા કાયમી અધિકારીઓની નિમણુક આવશ્યક છે. ડીવાયએસપીની કુલ સાત જગ્યાઓ ધરાવતા પશ્ચિમ કચ્છ જિલ્લામાં ત્રણ ચાર્જમાં છે, જ્યારે આંતરરાષ્ટ્રીય કેદીઓને રાખવામાં આવતા જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર (જેઆઈસી)માં હાલ કોઈ ડીવાયએસપી જ નથી ! તેવામાં બુધવારે થયેલા હુકમમાં પશ્ચિમ કચ્છના મુખ્ય મથક ભુજ અને નલિયાની વધારાની જવાબદારી ગાંધીનગર અને બોટાદના ડીવાયએસને સોપવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા અલગ અલગ 35 પોલીસ અધિકારીઓને વધારાનો હવાલો આપવામાં આવ્યો છે. જેમાં પશ્ચિમ કચ્છને બે ડીવાયએસપી આપવામાં આવ્યા છે. જિલ્લાના મુખ્ય મથક ભુજનો વધારાનો ચાર્જ ગાંધીનગર કોમ્પ્યુટર સેન્ટરના મહિલા ડીવાયએસપી વિશ્વા શાહને સોપવામાં આવ્યો છે. જ્યારે નલિયાને પ્રથમ વખત ડીવાયએસપી મળ્યા છે જોકે એ પણ ચાર્જમાં જ છે. બોટાદ એસટીએસસી સેલમાં ફરજ બજાવતા મનીષા દેસાઈને નલિયાની વધારાની જવાબદારી સોપવામાં આવી છે. જેના કારણે નખત્રાણા વિભાગના ડીવાયએસપી પરથી ભારણ ઘટ્યું છે. અગાઉ ભુજ અને હેડક્વાર્ટરના ડીવાયએસપી વય નિવૃત થયા બાદ એસટીએસસી સેલના ડીવાયએસપી પર ભારણ વધ્યું હતું. જોકે હવે ભુજ વિભાગની જવાબદારી સોંપી દેવામાં આવી છે પરંતુ હેડક્વાર્ટર વિભાગનો ચાર્જ એસટીએસસી સેલના ડીવાયએસપીને સોપેલો છે. ઉલ્લેખનીય છે કે, સરહદી પશ્ચિમ કચ્છમાં આંતરરાષ્ટ્રીય કેદીઓને રાખવા માટે જેઆઈસી કાર્યરત છે. પરંતુ લાંબા સમયથી આ જગ્યા પર કોઈ ડીવાયએસપી મુકવામાં આવ્યા નથી અને પીઆઈને હવાલે છે. હાલ જિલ્લામાં કુલ સાત ડીવાયએસપીની જગ્યામાંથી ત્રણનો વધારાનો હવાલો સોપાયેલો છે. 3 PSI સહિત 22 પોલીસકર્મીઓની આંતરિક બદલીપશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા દ્વારા પોલીસકર્મીઓની આંતરિક બદલીનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં વાયોર પોલીસ મથકના પીએસઆઈ કે.વી.ડાંગરને પદ્ધર મુકવામાં આવ્યા છે. જયારે તેમની જગ્યાએ નિરોણાના આઈ.આર.ગોહિલને વાયોર મુકવામાં આવ્યા છે. અને ભુજ બી ડીવીઝનના પીએસઆઈ કે.એચ.આહીરને નિરોણા પોલીસ મથકની જવાબદારી સોપવામાં આવી છે. આ ઉપરાંત અલગ અલગ પોલીસ મથકો અને હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા 19 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીનો હુકમ કરવામાં આવ્યો છે. નલિયા સીપીઆઈ અથવા પ્રાંત ઓફિસમાં ડીવાયએસપીની કચેરીનલિયા વિભાગમાં આવતા જખૌ, જખૌ મરીન, કોઠારા, વાયોર, અને નલિયા સહિતના પાંચ પોલીસ મથકો દરિયાઈ સરહદે આવેલા છે. અગાઉ સીપીઆઈ હસ્તક રહેલા પાંચ પોલીસ મથકને ડીવાયએસપી વિભાગ ફાળવવામાં આવ્યા બાદ પ્રથમ વખત નિમણૂક કરવામાં આવી છે. ત્યારે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ નલિયામાં આવેલ જૂની સીપીઆઈ કચેરી અથવા પ્રાંત કચેરી ખાતે ડીવાયએસપીની કચેરી ઉભી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દરિયાઈ વિસ્તારમાંથી અવારનવાર બિનવારસુ માદક પદાર્થનો જથ્થો તેમજ ઘુસણખોરી સહિતના બનાવો બનતા હોય છે તેવામાં આ વિસ્તાર માટે ડીવાયએસપીની નિમણૂક કરવામાં આવતા સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે.
નવજીવન અપાયું:પ્રસૂતાના પેટમાં રહેલા બાળકને જટિલતા છતાં માતા અને બાળકને બચાવી લેવાયા
અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના બ્લડબેંક મારફતે સ્ત્રીરોગ વિભાગમાં દાખલ હળવી સ્થિતિના થેલેસેમીયાગ્રસ્ત પ્રસૂતાને લોહી અને તેના જરૂરી પ્લેટલેટ ઘટક સમયસર પૂરા પાડી માતાનો જીવ બચાવી લીધો. બ્લડબેંક અને સ્ત્રીરોગ વિભાગે સંયુક્ત કાર્યવાહીથી બંને માતા અને બાળક આજે સુરક્ષિત છે. બ્લડબેંકના હેડ ડૉ. જીજ્ઞાબેન ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર સ્ત્રીરોગ વિભાગમાં પ્રસુતિ માટે દાખલ થયેલા માતાને માયનોર થેલેસેમીયા હતું અને તેમના શરીરમાં પ્લેટલેટ ખૂબ ઘટી ગયા હતા.તેમને લોહીની અત્યંત આવશ્યકતા ઊભી થઈ હતી.સાથે તેમનું બ્લડ ગ્રુપ પણ AB - ve હતું જેને દુર્લભ કક્ષાનું ગણવામાં આવે છે. કાઉન્સેલર દર્શન રાવલ અને સ્ટાફના પ્રયાસોથી બ્લડ બેંક દ્વારા એકજ કલાકમાં 17 રક્તદાતાનો સંપર્ક કર્યો અને રક્તદાતાઓ પણ સ્થિતિની ગંભીરતા પારખી જતાં તાત્કાલિક બ્લડબેંકમાં આવી લોહીનું દાન કરી માતાનો જીવ બચાવવા યોગદાન આપ્યું. બીજી તરફ બ્લડબેંકના તબીબોએ પણ બ્લડમાંથી જરૂરી કણો વિભાજિત કરી જરૂરી પ્રોડક્ટ પૂરા પાડ્યા. સ્ત્રીરોગ વિભાગના ડો.મહેક પિંડોરિયાએ કહ્યું કે, પ્રસૂતાબેન અત્રે આવ્યા ત્યારે પ્લેટલેટ માત્ર 14000 હતા. વળી માતાના પેટમાં જ બાળકને જટિલતા ઉત્પન્ન થઈ હતી, તેથી સ્ત્રીરોગ નિષ્ણાત ડો.ચાર્મીબેન પાવાણીની રાહબરી હેઠળ સીઝેરીયન કર્યું અને પ્રથમથી તબક્કાવાર લોહીના ઘટકો પ્રસૂતાને ચડાવ્યા. રજા આપી ત્યારે પ્લેટલેટ 110000 સુધી પહોંચી ચૂક્યા હતા અને હિમોગ્લોબિનમાં સુધારો હતો. આમ બંને વિભાગના સંયુક્ત પ્રયાસથી બેઉ માતા અને બાળકનો જીવ બચી શક્યો.ડો. જિગ્નાબેન ઉપાધ્યાયે સમયની ગંભીરતા સમજી રક્તદાન કરવા બદલ દાતાઓનો આભાર માન્યો હતો.
26 એપ્રિલે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ જાહેર થઈ ગઈ છે. ચૂંટણી પંચે બપોર બાદ જાહેરાત કરી હતી. જેને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભુજ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે સોમવારે યોજાયેલી આ પ્રક્રિયામાં પ્રદેશ નિરિક્ષકો સંજય અમરાણી અને યાસીન ગજણ સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલ હાજર રહ્યા હતા. ભુજ, નખત્રાણા, લખપત, અબડાસા, માંડવી અને મુન્દ્રા સહિતના તાલુકા તથા શહેર મથકો પર સેન્સ લેવામાં આવ્યા હતા, જેમાં યુવા, મહિલાઓ અને અનામત બેઠકો માટે ઉમેદવારો દ્વારા પોતાની દાવેદારી નોંધાવવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ભુજની પાલિકાની 44 બેઠક માટે 70 કોંગ્રેસી કાર્યકરોએ દાવેદારી નોંધાવી હતી તેમની સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ છે. આગામી બે દિવસ દરમિયાન સમગ્ર કચ્છના અન્ય વિસ્તારોમાં પણ આ પ્રક્રિયા ચાલુ રહેશે. વી.કે. હુંબલે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓમાં મજબૂતીથી ઝંપલાવશે અને સક્ષમ તથા અનુભવી ઉમેદવારોને ટિકિટ આપવામાં આવશે. ખેડૂતોના પ્રશ્નો, નર્મદા પાણી, આરોગ્ય, શિક્ષણ, વીજળી સમસ્યા, કાયદો વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ, તેમજ ગૌચર જમીન દબાણ જેવા મહત્વના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને પક્ષ ચુંટણીઓ લડશે.
સિટી એન્કર:દાંડીવાળા હનુમાન 477 વર્ષથી રક્ષક દેવ સ્વરૂપે બિરાજે છે
ભુજ શહેરના ભીડ ગેટ નજીક આવેલું દાંડીવાળા હનુમાન મંદિર ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતું સ્થાન માનવામાં આવે છે. આશરે 477 વર્ષ જૂનું આ મંદિર ભુજની સ્થાપના સમયગાળામાં રાજ પરિવારે નિર્માણ કરાવ્યું હોવાનું માન્યતા છે. શહેરના પૂર્વ ભાગમાં સ્થિત આ મંદિરને રક્ષક સ્વરૂપે હનુમાનજીની સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિરને ‘દાંડીવાળા હનુમાન’ તરીકે ઓળખાવાનું કારણ પણ રસપ્રદ છે. રાજાશાહી સમયમાં જ્યારે અહીં વસતી ઓછી હતી ત્યારે મંદિરના શિખર પર દાંડી લગાવી તેના પર ફાનસ બાંધવામાં આવતો, જેના પ્રકાશથી આસપાસનો વિસ્તાર પ્રકાશિત થતો. આ પરંપરાથી મંદિરનું નામ પ્રચલિત બન્યું હોવાનું કહેવાય છે. મંદિરની સેવા મહેન્દ્રગર ઝવેરગર ગોસ્વામી પરિવાર દ્વારા છેલ્લા ત્રણ પેઢીથી કરવામાં આવી રહી છે. ગુરુ-ચેલા પરંપરા મુજબ તેઓ હાલમાં 23મી પેઢી તરીકે સેવા બજાવી રહ્યા છે. માન્યતા મુજબ ઘનશ્યામ મહારાજે પણ અહીં પૂજા અર્ચના કરી હોવાનું કહેવાય છે. ભૂકંપ બાદ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો, જેના કારણે તેની પ્રાચીનતા સાથે આધુનિક સુવિધાઓ પણ જોડાઈ છે. દર વર્ષે હનુમાન જયંતિના પ્રસંગે અહીં વિશાળ પ્રમાણમાં ઉજવણી થાય છે. લગભગ 11 મણ એટલે કે 440 કિલો પંજૂરીનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે અને બે વખત સવા-સવા કલાક સુધી નોબત સાથે આરતી યોજાય છે. છેલ્લા 45 વર્ષથી મનુભાઈ, જે દરજી તરીકે કામ કરે છે, નોબત વગાડવાની સેવા નિભાવતા આવ્યા છે. 75 વર્ષની વયે પણ મનુભાઈ યુવા જેવી ઊર્જા સાથે સેવા આપે છે. તેઓ કહે છે કે આ શક્તિ હનુમાનજીની કૃપાથી મળે છે અને જીવનભર સેવા કરતા રહેશે. તેમની સાથે 20થી 25 સભ્યોની ટીમ પણ જોડાયેલી છે. આજે હનુમાન જયંતી નિમિત્તે સવારે 6:30 વાગે પૂજા અને ત્યારબાદ 7:30 વાગ્યે આરતી કરવામાં આવશે તેમજ સાંજે 6:30 વાગે સમૂહ હનુમાન ચાલીસા હાટકેશ્વર ગ્રુપ દ્વારા બોલાવવામાં આવશે અને રાત્રે 8:30 વાગ્યે મહા આરતીનું આયોજન કરાયું છે.
વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા કલાશ્રય પામેલા મહાન ચિત્રકાર રાજા રવિ વર્માનું એક પેન્ટિંગ યશોદા એન્ડ ક્રિષ્ના મુબંઇના આર્ટ ઓકશન હાઉસ સેફ્રોન આર્ટમાં રૂ. 167 કરોડ 20 લાખની કિંમતે ખરીદાયું છે. ભારતીય કલાજગતના ઇતિહાસમાં કોઇ પેન્ટિંગની આ સૌથી ઊંચી ખરીદી છે. આ અગાઉ એમએફ હુસેનનું ગ્રામ યાત્રા નામનું પેન્ટિંગ ગત વર્ષે 19 માર્ચે ન્યૂયોર્ક ક્રિસ્ટિઝમાં ખરીદાયું હતું. આ પેન્ટિંગ કોણે ખરીદ્યુ છે તેના વિશે જાણી શકાયું નથી. આ પેન્ટિંગ એક સમયે દિલ્હીના આશિષ આનંદ નામના આર્ટ કલેકટર પાસે હતું. ત્યારે ક્યુરેટેરિયલ રાઇટ્સ બેંગ્લુરુની ગણેશ શિવાસ્વામી ફાઉન્ડેશન પાસે હતા. ગણેશ શિવાસ્વામીનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો પણ તેમનો સંપર્ક થઇ શક્યો ન હતો.યશોદા એન્ડ ક્રિશ્ના પેન્ટિંગ ઓઇલ ઓન કેન્સવાસ છે. આ પેન્ટિંગ 89 સેમી ઊચું અને 72 સેમી પહોળું છે. ઓક્શન હાઉસના અહેવાલ મુજબ આ પેન્ટિંગ યુરોપિયન રિયાલિઝમ સાથે ભારતીય ભક્તિવાદનો સંગમ છે. ઇચ્છીત વરદાન આપતી કામધેનૂ ગાયને યશોદા માતા દોહી રહ્યાં છે અને બાળ સ્વરૂપ કૃષ્ણ એક હાથમાં પ્યાલી લઇને તેમને પાછળની તરફથી એક હાથની બાથ ભરીને વળગીને ઊભા છે. 1890ના દાયકામાં આ પેન્ટિંગ તૈયાર થયું હતું. આ વિશે ફતેસિંહ મ્યુઝિયમના સેક્રેટરી મંદાબેન હિંગુરાવે જણાવ્યું કે, આ પેન્ટિંગ વડોદરામાં તૈયાર થયું ન હતું. ઉલ્લેખનીય છે કે, મહારાજા સયાજીરાવ ગાયકવાડે તેમને 1888માં ઊંટી પણ આમંત્રિત કર્યાં હતા, જ્યાં તેમને મહારાજા માટે 14 પેન્ટિંગ તૈયાર કર્યા હતા. મહારાજાએ 1893માં રાજા રવિ વર્માને મુંબઇમાં પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કરવા માટે રૂ.50 હજારની સહાય પણ કરી હતી. વડોદરામાં રાજા રવિવર્માનો સ્ટુડિયો પણ હતો રાજા રવિ વર્માનો એક પેન્ટિંગ સ્ટુડિયો વડોદરામાં પણ હતો. મહારાજા સયાજીરાવ ગાયકવાડે તેમને પેન્ટિંગ માટે આ સ્ટુડિયો લક્ષ્મીવિલાસ પેલેસ પરિસરમાં 1881-82માં તૈયાર કરી આપ્યો હતો. જ્યાં તેમને અનેક પેન્ટિંગ તૈયાર કર્યા હતા. જેમાંથી 30 જેટલા ઓરિજિનલ પેન્ટિંગ વડોદરાના મહારાજા ફતેસિંહ મ્યુઝિયમમાં આજે સચવાયેલા છે.
ઉલટા ચશ્માનું સ્થાન સ્માર્ટ ચશ્મા લેશે?:સ્માર્ટ ગ્લાસની ઉપયોગીતા સામે અમુક પડકારો પણ છે
અનિલ કપૂર અને શ્રીદેવીનું મિસ્ટર ઇન્ડિયા કેટલી વખત જોયું? એમાં અનિલ કપૂર સ્માર્ટ ગ્લાસીસ એટલે કે ચશ્મા પહેરે અને તેની સ્વીચ દબાવે એટલે એ આપણી નજર સામેથી અદ્રશ્ય થઇ જાય. એ જોઇને એ જમાનામાં, એ ઉંમરમાં બહુ કુતૂહલ થતું કે એવું થાય ખરું? હવે એવી કલ્પના કરો કે એ ચશ્મા પહેરીને અનિલ કપૂર મોગેમ્બો સામે ઊભો છે. ચશ્માના કાચ જ તેને એવી માહિતી આપે છે કે સામે ઊભેલા મોગેમ્બોની હાઇટ છ ફૂટ છે, તેનું વજન નેવું કિલો છે, તેની કમર ચોત્રીસ ઇંચની છે અને તે કોઇ બીમારીથી પીડાતો લાગે છે. ફેન્ટેસી જેવી આ વાત લાગીને? આવું કંઇ શક્ય છે ખરું? પણ નજીકના ભવિષ્યમાં આનાથી પણ વધુ સગવડતા મળે એવા સ્માર્ટ ગ્લાસીસ આવશે. ક્રાઇમ ડિટેકશનથી લઇને ઇન્ટરનેટ કનેક્શન સુધીના પ્રોગ્રામ ગ્લાસીસમાં હશે. તો શું, આયર્ન મેનને એની આંખ સામે એની હેલ્મેટમાં જેવું દેખાય છે એવું આપણને દેખાશે? જી હાં, ઓગમેન્ટેડ રિયાલિટીની મદદથી હવે એવા ચશ્મા મળે છે જે એક કોમ્પ્યુટર જેવું કામ આપશે. તો ચાલો આ ઓગમેન્ટેડ રિયાલિટીવાળા ચશ્માની દુનિયામાં એક ડોકિયું કરીએ અને આ ગ્લાસીસને સ્માર્ટ ગ્લાસીસ કેમ કહે છે એ જાણીએ. હરતું ફરતું કોમ્પ્યુટરઆ ઓગમેન્ટેડ રિયાલિટી સ્માર્ટ ચશ્માને પહેરી શકાય એવા એઆર ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે અને એને નિયમિત ચશ્માની જેમ જ પહેરવામાં આવે જે વપરાશકર્તાઓ જે જુવે છે એમાં માહિતી ઉમેરી આપે છે અને માટે એને હરતું ફરતું કોમ્પ્યુટર પણ કહી શકાય. આ ઉપરાંત આ સ્માર્ટ ચશ્મા કે ગ્લાસીસ તેમના કમ્પ્યુટર આધારિત કાર્ય, સોશિયલ મીડિયા કે ગેમિંગ સોફ્ટવેરને દૂરથી એક્સેસ કરવામાં પણ મદદ કરે છે. તમે મોર્નિંગ વોક લેતા હોવ અને તમને યાદ આવ્યું કે મિટિંગ કેટલા વાગે છે એ જોવાની તો રહી ગઇ અને ત્યાં તમારા આ સ્માર્ટ ચશ્મા કામમાં આવશે. એની મદદથી તમે તમારું કમ્પ્યુટર એક્સેસ કરી શકશો અને જોઇ શકશો કે મિટિંગ કેટલા વાગે છે. મોર્નિંગ વોક લેતા હો અને સામે દૂરથી પેલા પંચાતિયા માસી દેખાય તો ચશ્મા તમને એલર્ટ પણ આપી શકે અને તમે યુ-ટર્ન લઇ લો. તમે જે જગ્યાએ વાસ્તવમાં છો તે જગ્યાએ તમારા સોશિયલ મીડિયા ફ્રેન્ડ લિસ્ટમાં હોય એવું કોઇ છે? એ માહિતી પણ ચશ્મા આપી શકે. હવે જોઇએ કે આ સ્માર્ટ ગ્લાસીસ કામ કેવી રીતે કરે છે. આ એઆર ગ્લાસીસ એક પારદર્શક ડિવાઇસ છે જે પહેરનાર વ્યૂ પોઇન્ટ હોય એની લિમિટમાં એઆર કન્ટેન્ટ પેદા કરે છે જે એમને જે જોઇ શકે છે એમાં માહિતી ઉમેરવામાં મદદ કરે છે. સાદી રીતે કહીએ તો તે વાયરલેસ કનેક્ટિવિટી અને ઇમેજિસ જે આપણે ઘરના કોમ્પ્યુટર કે સેલફોન પર માણીએ છીએ તે આપણા ચશ્માના ફ્રેમ્સ અને લેન્સમાં લાવવાનો પ્રયત્ન છે. આપણે બધા જે કી-બોર્ડ અને માઉસનો ઉપયોગ કરીએ છીએ તેના બદલે ચશ્માની ફ્રેમમાં બનેલા કન્ટ્રોલ્સને ટીંગ કરીને કે સ્વાઇપ કરીને કે ટેપિંગ કરીને એલેક્સા કે સીરીની જેમ આપણી વિનંતીને શાબ્દિક બનાવીને તેના ડિસ્પ્લેને દિશામાન કરીને સ્માર્ટ ચશ્માંને નિયંત્રિત કરી શકાય છે. ફક્ત ડિવાઇસ અને ગેજેટ્સને એકબીજા સાથે કનેક્ટ કરવાના છે. સીન્ક્રોનાઇઝેશન ઇઝ ધ ફ્યૂચર. ગૂગલનું આઇ વ્યૂઅર્સ ફેલ થયુંસ્માર્ટ વોચ અને અન્ય વેરેબલ વાયરલેસ ડિવાઇસેસની લોકપ્રિયતા વધારવાની આશા સાથે ગૂગલે સૌ પ્રથમ 2013 માં ગૂગલ ગ્લાસ એક્સપ્લોરરની રજૂઆત સાથે આઇ વ્યૂઅર્સની શરૂઆત કરી હતી. દુર્ભાગ્યવશ એક્સપ્લોરર મોટાભાગના માટે ખૂબ અસ્પષ્ટ અને ખર્ચાળ ($ 1,500) સાબિત થયું. ગૂગલને 18 મહિના પછી બજારમાંથી તેને પાછું લઇ લેવું પડ્યું. અત્યારે વેવ ઓપ્ટિક્સ, એપ્રેન્ટિસ આઇઓ, વુઝિક્સ, મી.સ્પેક્સ જેવી કંપનીઝ સ્માર્ટ ગ્લાસીસ બનાવે છે. સ્માર્ટ ગ્લાસના ઉપયોગ સામે પડકારો પણ છેઆ સ્માર્ટ ગ્લાસની ઉપયોગીતા સામે અમુક પડકારો પણ છે જેમ કે લોકોએ આ ચશ્માને કેવી રીતે વાપરવા એ જ ફક્ત શીખવાનું નહીં રહે પણ અચાનક આંખ સામે આવતા વાયરલેસ ડેટા, ઇમેજિંગથી કેવી રીતે અનુકૂલન સાધવું એ પણ શીખવું પડશે. આની સામે સ્માર્ટ ચશ્માનો ઉપયોગ વિવિધ માહિતી અને ડેટાની એક્સેસ કરવાની ક્ષમતાને વધારે છે અને જે તમારી કાર્યક્ષમતામાં વધારો કરે છે અને તમે સ્માર્ટલી કામ કરી શકો છો. હવે તમે જ નક્કી કરો કે આ સ્માર્ટ ચશ્મા ફાવી શકે એટલા તમે સ્માર્ટ છો કે આ ચશ્મા જ તમને સ્માર્ટ બનાવી દેશે?
મંગળબજારમાં આવેલી એક કાપડની દુકાનમાં ડુપ્લિકેટ ચાવી વડે પ્રવેશ કરી ચોરી કરવાનો પ્રયાસ કરતા બે અજાણ્યા ઇસમોને સ્થાનિકોએ છત પરથી ઝડપી પોલીસને હવાલે કર્યા છે. મંગળબજારમાં ‘સૂર્યા ફેશન’ નામની કાપડની દુકાન ધરાવતા દિપક બેલાણીએ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, આ ઘટના 31 માર્ચના રોજ રાત્રિના સમયે બની હતી. ફરિયાદી રાત્રે 9:15 વાગ્યે દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. ત્યારબાદ રાત્રિના આશરે 10:30 વાગ્યે પાડોશમાં રહેતા મિત્ર પિયુષ પટેલે ફોન કરીને જાણ કરી હતી કે દુકાનની અંદરથી અવાજ આવે છે. શંકા જતાં ફરિયાદીએ અન્ય એક મિત્ર મિતેશભાઈ ખત્રીને તપાસ કરવા મોકલ્યા હતા. મિતેશભાઈએ જોયું તો દુકાન પાસે એક રિક્ષા ઉભી હતી અને અંદરથી અવાજ આવતો હતો. તેમણે તુરંત બહારથી દરવાજો બંધ કરી બૂમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. તસ્કરોએ પકડાઈ જવાની બીકે દુકાનની બાજુમાં આવેલા ઘરની છત પર કૂદીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સતર્ક રહીશોએ બંનેને ઝડપી લીધા હતા. બંનેને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. સિટી પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે, તસ્કરોએ દુકાનના મુખ્ય દરવાજાના તાળાની ડુપ્લિકેટ ચાવી બનાવીને અંદર પ્રવેશ કર્યો હતો. દોઢ માસ પૂર્વે નોકરી ગઈ હતી નકલી ચાવીથી તાળું ખોલ્યુંઈસ્માઈલ દિવાન ફરિયાદીની દુકાનમાં નોકરી કરતો હતો. જ્યારે દોઢ મહિના પહેલા તેને નોકરી પરથી છૂટો કર્યો હતો. જ્યારે આરોપી પાસે દુકાનની ડુપ્લિકેટ ચાવી હતી. જેના આધારે તેને આ ચોરી કરવાનો ઈરાદો કર્યો હતો. > કે.ડી.માંગરોલીયા,પીઆઈ,સીટી પોલીસ મથક
નંદેસરી દારૂ કેસ:ફરાર આરોપી તાલુકા પંચાયતના ભાજપના સભ્યનો પિતરાઈ હોવાનો ઘટસ્ફોટ
નંદેસરીના રઢીયાપુરામાં એસએમસીએ દરોડો પાડ્યો હતો. જેમાં ફરાર આરોપીનું રાજકીય કનેક્શન બહાર આવ્યું છે.આરોપી ભાજપના તાલુકા પંચાયત સભ્યનો પિતરાઈ ભાઈ છે, જેને લઈ જિલ્લા ભાજપમાં હલચલ મચી છે. નંદેસરીના રઢિયાપુરા ગામે દરોડો પાડ્યો હતો.જેમાં 46 લાખથી વધુના દારૂ સાથે લિસ્ટેડ બૂટલેગર મનોજ ઉર્ફે પાપડ સહિત 6ની ધરપકડ કરી હતી. જ્યારે મોટા બૂટલેગરો સુનિલ અદો,લાલુ સિંધી સહિત 10ને ફરાર જાહેર કર્યા હતા. આ 10 વોન્ટેડની યાદીમાં ગૌતમ પઢિયારનું નામ સૌથી ચર્ચાનો વિષય બન્યો છે. દારૂનું કટિંગ જ્યાં ચાલતું હતું એ જગ્યાનો માલિક ગૌતમ પઢિયાર હોવાથી એને આ મામલામાં વોન્ટેડ જાહેર કરાયો છે. ફરાર આરોપી નંદેસરી બેઠક ઉપરથી ભાજપના ચૂંટાયેલા તાલુકા પંચાયતના સભ્ય જશવંતસિંહ પઢિયાર ઉર્ફે પિન્ટુના કાકાનો દીકરો હોવાનું બહાર આવ્યું છે. મારો પિતરાઈ ભાઈ છેફરાર આરોપી ગૌતમ મારો પિતરાઈ ભાઈ છે.હું નંદેસરી બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યો હતો અને જીત્યો હતો.મારા પિતા પણ અગાઉ સરપંચ રહી ચૂક્યા છે.જોકે કાકાનો દીકરો ગૌતમની આ પ્રવુતિ અંગે મને કોઈ જાણકારી નથી.મારે દારૂના ધંધા સાથે કોઈ લેવા દેવા નથી. >જસવંતસિંહ ઉર્ફે પિન્ટુ પઢિયાર
ગોરવા-કરોડિયા કેનાલ રોડ રમેશનગરમાં ધમધમતા ઈમરાન દરબાર અને ખાલિદના દારૂના વેરહાઉસને એલસીબી ઝોન-1ની ટીમે પકડી પાડ્યું હતું. પોલીસે વેરહાઉસમાંથી 13.08 લાખનો દારૂનો જથ્થો પકડી પાડી જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો. ભાસ્કરે જે દારૂના વેરહાઉસનો પર્દાફાશ કર્યો હતો, તે સ્થળેથી એલસીબી ઝોન-1ની ટીમે દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. એલસીબી ઝોન-1 ટીમના પીએસઆઈ મેહુલ ભરવાડે કહ્યું હતું કે અમારી ટીમને બાતમી મળી હતી કે, ગોરવા-કરોડિયા કેનાલ રોડ રમેશનગર પાસે ઈમરાન દરબાર બહારથી વિદેશી દારૂનો જથ્થો લાવી રૂમોમાં મૂકી રાખ્યો છે. જેના આધારે ટીમે દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી પોલીસને 2143 નંગ વિદેશી દારૂની બોટલ રૂ.13.08 લાખ મળી આવી હતી. જ્યારે બૂટલેગર ખાલીદ કાસમ શેખ અને મો.યુનુસ ઝાકીર હુસેન(બંને રહે, રમેશનગર, ગોરવા-કરોડિયા કેનાલ રોડ)ને પકડ્યા હતા. આ દારૂના કેસમાં ઈમરાન દરબાર અને અરવિંદ ચડ્ડો વોન્ટેડ જાહેર કરાયો હતો. જવાહરનગર પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. અગાઉ બેથી વધુ વાર પોલીસે ખાલીદનું ગોડાઉન પકડી પાડ્યું હતું. જોકે તે જેલમાંથી બહાર આવીને ફરી દારૂનો ધંધો શરૂ કરી દેતો હોવાનું સૂત્રોએ કહ્યું હતું. દારૂના વેરહાઉસનો પર્દાફાશ કર્યો, તેમ છતાં પોલીસને ફક્ત 7 ક્વાટર જ મળ્યા હતાઅગાઉ ડિસેમ્બર મહિનામાં ભાસ્કર દ્વારા ઈમરાન દરબાર અને ખાલીદના વિદેશી દારૂના વેરહાઉસનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જવાહરનગર પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. જોકે તે સમયે જવાહરનગર પોલીસને ખાલીદને ફક્ત 7 દારૂના ક્વાટર સાથે પકડ્યો હતો. જેમાં ઈમરાન દરબારઅને તેના કોઈ સાગરિતને પકડવામાં આવ્યો નહોતો. બૂટલેગરોએ ત્યાર બાદ પણ દારૂનો ધંધો ચાલુ રાખ્યો હતો. ખાસ એઆર લખેલી ટ્રાવેલ બેગમાં ટ્રેનો મારફતે દારૂનો જથ્થો મોકલાયોવાપીના દારૂના સપ્લાયર અરવિંદ ચડ્ડો લાંબા ટ્રેન મારફતે ખાસ એઆર લખેલી ટ્રાવેલ બેગમાં દારૂ મોકલાવી રહ્યો છે. ત્યારે ઈમરાન દરબાર અને ખાલીદને પણ અરવિંદે ખાસ ટ્રાવેલ બેગ મારફતે દારૂ મોકલાવ્યો હતો. રિયાઝ વડોદરાની સિન્ડિકેટનું સંચાલન કરતો હતો. અગાઉની રિયાઝની ધરપકડ થઈ હતી.
કહેવાય છે કે કલાને કોઈ ઉંમર હોતી નથી અને જ્યારે ઉત્સાહ થનગનતો હોય ત્યારે ઉંમર માત્ર એક આંકડો બનીને રહી જાય છે. આ વાતને સાર્થક કરી બતાવી નાટ્ય સંસ્થા ‘ત્રિવેણી’ અને ‘યોગનિકેતન’ દ્વારા થિયેટર વર્કશોપ ‘જીવન રંગમંચ’ યોજાયો હતો. આ કાર્યશાળામાં 50વર્ષથી લઈને 88 વર્ષ સુધીના વડીલોએ ભાગ લીધો હતો. ઝડપી યુગમાં જ્યારે પેઢીઓ વચ્ચેનું અંતર વધી રહ્યું છે ત્યારે વડીલો ઘણીવાર એક પ્રકારની એકલતા અનુભવતા હોય છે. તેમની પાસે કહેવા માટે અનુભવોનું ભાથું હોય છે પણ સાંભળનાર કે મંચની ખોટ વર્તાય છે. વડીલોને પોતાની ઓળખ ફરીથી શોધવાની તક આપવી જાણે કે અભિવ્યક્તિના સૂર્યોદય સાથે એકલતાને તિલાંજલિ આપે તે હેતુથી વર્કશોપ યોજાયો હતો. ‘તમારી ઉંમર ગમે તે હોય સર્જનાત્મકતાને ફરી શોધવા માટે ક્યારેય મોડું થતું ન’ એ સૂત્રને વળગીને 30 નિવૃત્ત અધિકારીઓ, તબીબો, શિક્ષકોથી લઈને ગૃહિણીઓ અને લેખકોએ ભાગ લીધો હતો. રંગમંચ પર ઉંમર ભૂંસાઈ જાય છે, ત્યાં માત્ર પાત્ર જીવંત હોય છેરંગમંચ પર દરેક પ્રકારના કલાકારની જરૂર હોય છે. અહીં કોઈ સાચું કે ખોટું નથી હોતું. વડીલોના જીવનનો અનુભવ અભિનયમાં પ્રાણ ફૂંકે છે. અમારો પ્રયાસ હતો કે તેઓ પોતાની છુપાયેલી કલાને બહાર આવવા દે. વડીલો પાસે જીવનનો જે ખજાનો છે, તે મંચ પર જ્યારે સંવાદ બનીને બહાર આવે છે, ત્યારે સાચું નાટક જન્મે છે. અહીં ઉંમરની મર્યાદા નથી, પણ અનુભવની સમૃદ્ધિ છે. રંગમંચ પર ઉંમર ભૂંસાઈ જાય છે. ત્યાં માત્ર પાત્ર જીવંત હોય છે. તેમ દિગ્દર્શક પી. એસ. ચારીએ જણાવ્યું હતું.
મ.સ.યુનિ.ની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સના સ્કલ્પ્ચર વિભાગના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓએ બનાવેલા સ્કલ્પચરનું પ્રદર્શન ફેકલ્ટીના પ્રદર્શન હૉલ ખાતે યોજવામાં આવ્યું છે. જેમાં 16 વિદ્યાથીઓએ આર્ટવર્ક બનાવ્યા હતા. તેમજ તે સાથે એપ્લાઇટ આર્ટના 100થી વધારે વિદ્યાર્થીઓના આર્ટવર્ક ડિસ્પ્લે કરવામાં આવ્યા હતા. પ્રદર્શન દરમિયાન વિવિધ પ્રકારના મટિરિયલ્સ જેમ કે, માટી, મેટલ, લાકડું, ગ્લાસ સહિતના વિવિધ માધ્યમોમાં બનાવવામાં આવેલા સ્કલ્પચર પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. દરેક શિલ્પ પાછળ કોઈને કોઈ વિચારધારા, સામાજિક મેસેજ અથવા વ્યક્તિગત અભિવ્યક્તિ સ્પષ્ટ રીતે દેખાતી હતી. જ્યારે એપ્લાઇડ આર્ટ્સના વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન કરેલા પર્સ્પેક્ટિવ સ્ટડીના હેરિટેજના સ્કેચ લગાવ્યા હતા. તેમજ માનવી અને પ્રાણીના કોમ્બિનેશનના મિની ક્રિએચર બનાવ્યા હતા. રોમન સ્નેલમાંથી પ્રેરણા લઇ ‘લ્યુમિને’ની શંખાકાર રચના બનાવી‘લ્યુમિને’ નામની કલ્પિત દેવીથી વિદ્યાર્થીએ દર્શાવ્યું કે લ્યુમિને ચંદ્ર અને ધરતીની સંતાન છે, જેને દેવતાઓએ માનવજાત માટે જ્ઞાનને સંભાળવા માટે સર્જી છે. ચિત્રમાં લ્યુમિનેનો અડધો માનવી અને અડધો શંખ જેવી રચના ધરાવતો આકાર દેખાય છે. લ્યુમિનેનો શંખ સ્પાયરલ આકારમાં છે, જે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને જોડે છે. વિદ્યાર્થીએ ઓક્ટોપસ અને રોમન સ્નેલમાંથી પ્રેરણા લઈને આ પાત્ર રચ્યું હતું. સ્ટુડન્ટ્સે કલ્પનાશક્તિથી બનાવેલા અનોખા આર્ટવર્ક
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્ય તરફ હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી ટર્ફ સક્રિય થતા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 એપ્રિલ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહીઆજે દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમન, દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશેઆંધી તોફાન વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વીજળી પડવાની શક્યાઓ છે. આગામી 2થી 3 ડિગ્રી ટેમ્પ્રેચર ઘટશે. સૌથી વધારે વિદ્યાનગર માં 37.1 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદ 36.7 ડિગ્રી ટેપમ્પટેચર નોંધાયું.
તરસાલીની પૂ.રવિશંકર મહારાજ સરકારી કુમાર છાત્રાલયમાં ભોજનના મેનુ અને ગુણવત્તામાં ચૂક બદલ કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી છે. ગેસના બોટલોની સમસ્યા હોવાથી ગેસ પાઇપલાઇન નાખવામાં આવી છે. થોડા સમય પહેલા તરસાલી સરકારી કુમાર છાત્રાલયમાં રાત્રે ગેસ બોટલ ખાલી થઈ જતાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ચુલા પર ભોજન બનાવવામાં આવ્યું હતું. જેમાં કઢી પાતળી હોવા બાબતે વિદ્યાર્થીઓએ રાત્રે 8 વાગ્યે હોબાળો મચાવતાં મેસ કોન્ટ્રાક્ટરને તત્કાલ ગેસ બોટલની વ્યવસ્થા કરવા સૂચના અપાઈ હતી. રાત્રે ગેસ બોટલની વ્યવસ્થા થઈ હતી, પરંતુ રોટલી બનાવતી વખતે ગેસ પાઇપમાં લીકેજ સર્જાતા કામગીરી રોકવી પડી હતી. જેના પગલે ભારે વિવાદ થયો હતો. બેદરકારી દાખવનાર મેસ કોન્ટ્રાક્ટરને નોટિસ અપાઇ છે. વિદ્યાર્થીઓની રજૂઆતોનો યોગ્ય પ્રતિસાદ ન આપતાં સમાજ કલ્યાણ નિરીક્ષક એમ.એમ.દેસાઈને નોટિસ આપી ખુલાસો મગાયો છે. અન્ય સુવિધા અંગે સ્પષ્ટતા કરી છે કે, માર્ચ-2026માં ખરીદેલ પથારીનું વિતરણ કરી દેવાયું છે. બે ચોકીદાર છે અને સોલાર વોટર હિટરનું કામ શરૂ થયું છે. વિદ્યાર્થીઓના હોબાળાને પગલે પૂર્વ મેયર નિલેશ રાઠોડે સ્થફ પર પહોંચી ભોજન વ્યવસ્થા કરાવી હતી. તપાસમાં ભોજનની ગુણવત્તા સ્ટાન્ડર્ડ ન મળી
બોર્ડની પરીક્ષાઓ પૂરી થઇ ચૂકી છે. હવે શાળાકીય પરીક્ષાઓની શરૂઆત થશે. ગુજરાત બોર્ડ સંચાલિત શાળાઓમાં 6 એપ્રિલથી પ્રાથમિક-માધ્યમિક વિભાગોમાં વાર્ષિક પરીક્ષાઓની શરૂઆત થનાર છે. શહેર-જિલ્લાની 1500 સ્કૂલોમાં 2.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 18 એપ્રિલથી વિદ્યાર્થીઓનું ઉનાળું વેકેશન શરૂ થશે. શિક્ષણ બોર્ડ સંચાલિત ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં 6 એપ્રિલથી 17 એપ્રિલ સુધી ધો 1થી 11ની પરીક્ષા યોજાશે. શહેર-જિલ્લાની 1100 કરતાં વધારે સરકારી પ્રાથમિક શાળાઓમાં પણ પરીક્ષા યોજાશે. સરકારી સહિત ગ્રાન્ટેડ, ખાનગી સ્કૂલોમાં પરીક્ષાનો માહોલ છવાશે. એપ્રિલની કાળઝાળ ગરમીમાં વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે. અગાઉ 22 એપ્રિલના સુધી પરીક્ષા ચાલવાની હતી જોકે પાછળથી ટાઇમ ટેબલ બદલવામાં આવ્યું હતું. પરીક્ષા પૂર્ણ થયાના બીજા જ દિવસથી એટલે કે 18 એપ્રિલથી શાળાઓમાં ઉનાળુ વેકેશન વિદ્યાર્થીઓ માટે રહેશે. લાંબા સમય બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓ વેકેશનના મૂડમાં જોવા મળશે. શિક્ષકોને 1 મેથી વેકેશન પડશે. બીજી તરફ ખાનગી શાળાઓમાં પણ બોર્ડના નિયમો અનુસાર જ પરીક્ષાનું સંચાલન કરવામાં આવશે. હાલમાં શાળાઓમાં પેપર સેટિંગ અને બેઠક વ્યવસ્થાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ધો.3 અને 4ના વિદ્યાર્થીઓએ કસોટીપત્રમાં ઉત્તરો લખવાના રહેશે. ધો.5થી 8ના વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં ઉત્તરો લખવાના રહેશે. ગરમીમાં પરીક્ષા આપતાં બાળકોનું ધ્યાન કેવી રીતે રાખશો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે, ત્યારે ભાજપ દ્વારા પહેલાથી જ ઉમેદવારોને લઈને તૈયારીઓ કરી દેવામાં આવી છે. આજે 2 એપ્રિલના રોજ રાજ્યની સૌથી મોટી અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારો માટેની સેન્સ પ્રક્રિયા લેવામાં આવશે. ગુજરાત ભાજપ દ્વારા કુલ 21 જેટલા નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. પૂર્વ અને પશ્ચિમ એમ બંને વિસ્તારો માટે કુલ સાત જેટલા સ્થળો ઉપર બે દિવસ ઉમેદવારી કરવા માંગતા તમામ કાર્યકર્તાઓ-નેતાઓને સાંભળવામાં આવશે. પૂર્વ કોર્પોરેટરોથી લઈને વોર્ડ પ્રમુખો સહિતના લોકો દાવેદારી નોંધાવશેઆજે 2 એપ્રિલના રોજ જોધપુર, ચાંદખેડા, દરીયાપુર, નરોડા, અમરાઈવાડી-ઇન્દ્રપુરી, ભાઈપુરા-હાટકેશ્વર સહિતના 24 વોર્ડમાં ઉમેદવારી નોંધાવા માંગતા કાર્યકર્તાઓની પ્રક્રિયા લેવામાં આવશે. આજે સેન્સ પ્રક્રિયામાં પૂર્વ કોર્પોરેટરોથી લઈને વોર્ડ પ્રમુખો, ઉપ-પ્રમુખો તેમજ પૂર્વ હોદ્દેદારો પણ દાવેદારી નોંધાવશે. બે દિવસ સુધી સેન્સ પ્રક્રિયા યોજાવાની છે, ત્યારે ઉમેદવારી નોંધાવવા માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચશે તેવી શક્યતા છે.
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 5માં શું સ્થતિ છે. આ વિસ્તારમાં કેવો વિકાસ થયો છે. સ્થાનિક કોર્પોરેટર અહીંયા આવે છે કે કેમ. લોકોની શું સમસ્યાઓ છે. લોકોની શું માંગ છે તે તમામ સવાલોના જવાબો માટે દિવ્ય ભાસ્કર પોહચ્યું હતું ઈલેક્શન વોર્ડ નંબર 5નો ચિતાર મેળવવા માટે. રાજા રાણી તળાવ આસપાસ દબાણ, વૈકલ્પિક વ્યવસ્થાનો અભાવ પ્રથમ અમે વોર્ડ 5ના સૌથી જાણીતો અને સંવેદનશીલ ગણાતા પાણીગેટ વિસ્તારમાં અમે પોહચ્યા હતા. ઐતિહાસિક પાણીગેટ દરવાજાથી આ વિસ્તાર પાણીગેટ તરીકે જાણીતો થયો છે. અહીંયા અમે પોહચ્યા ત્યારે સૌથી ચર્ચાસ્પદ રાજા રાણી તળાવ આસપાસ આવેલી વસાહતો પાસે અમે સ્થિતિ જાણી હતી. અહીંયા લોકો પોતાની રીતે વસાહત બનાવી તળાવ આસપાસ ભારે દબાણ કરી પોતાની જિંદગી જીવી રહ્યા છે. અનેકવાર અહીંયા તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે. પરંતુ તેઓ વોટ આપે છે અને લાઇટ પાણી વેરો પણ ભરે છે. જેથી હજુ સુધી આ વસાહતો સામે મકાનોની વૈકલ્પિક વ્યવસ્થા ન થતા દૂર કરવા તંત્રની હિંમત ચાલી નથી. આ વિસ્તારમાં લાઇટ અને પાણી પહોંચ્યું છે. પરંતુ અહીંયા ગંદકીથી ખદબદતા આ વિસ્તારમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અહીંયા રોડ રસ્તાના કોઈ ઠેકાણ નથી. ડભોઈ દશાલાડ વિસ્તારના લોકો પાણીની સમસ્યાથી પરેશાનબાદમાં અમે ડભોઇ દશાલાડ ભવન પહોંચ્યા હતા. આ વિસ્તારમાં ખાસ કરીને ત્રીસ વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં ગટર અને પાણીની સમસ્યા યથાવત રહી છે. હાલમાં જ આ વિસ્તારમાં વરસાદી ડ્રેનેજ અને આજવા સરોવર સુધી પાણીની લાઇન નાખવામાં આવી રહી છે. જેથી વિકાસની દ્રષ્ટિએ તો ઠીક પરંતુ સમય વધુ લાગતો હોવાથી અહીંયા રહેલ પ્લેનેટ વર્લ્ડ, શિલ્પ રેસીડેન્સી, ગોકુલ રેસીડેન્સી અને સુખધામ સોસાયટી સહિતના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સાથે અહીંયા બનાવવામાં આવેલી સરકારી સ્કૂલ અને લેપ્રેસી મેદાનમાં બની રહેલ સરકારી હોસ્પિટલ આ વિસ્તારની નવી છબી ઊભી કરી શકે તેમ છે. આ વિસ્તારમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આકસ્મિક મુલાકાત લીધેલ તે વિસ્તાર એકતનગર આજે પણ વિકાસથી વંચિત છે. અહીંયા ડ્રેનેજ, પાણી સહિતની પ્રાથમિક જરૂરિયાતોથી હજુ પણ લોકો ઝઝૂમી રહ્યા છે. અહીંયા ગેરકાયદેસર અનેક વસાહતો હોવા છતાં તેને દૂર કરવા માટે તંત્રના હાથ જાણે ધ્રુજતા હોય તેવું લાગી રહ્યુ છે. અહીંયા આવેલી પોલીસ ચોકીની સ્થિતિ ખુબજ દયનીય છે. અહીંયા અસહ્ય દુર્ગંધથી આસપાસના લોકો પણ પીડાઈ રહ્યા છે. છતાં સ્થાનિક કોર્પોરેસ્ટરોની અહીંયા સુધી નજર પહોંચી નથી. કિશનવાડીમાં ડમ્પીંગ સાઈટ માથાનો દુઃખાવો બનીવોર્ડ 5માં આવેલ કિશનવાડી વિસ્તારમાં આવેલ ડમ્પીંગ સાઇટ હાલમાં લોકો માટે માથાનો દુખાવો બની છે. કારણ કે આ વોર્ડ 5 અને 6 બંને વિસ્તારોને અસર કરે છે. અહીં આસપાસ રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને અનેક આંદોલનો છતાં શાક માર્કેટ અને ડમ્પીંગ સાઇટ બાજુમાં છે. જે સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. અહીંયા રખડતા ઢોરોનો ત્રાસ વધુ છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. અહીંયા આવેલ CHC સેન્ટર પર વધુ બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ વિસ્તારમાં આવેલ બાપોદ વિસ્તાર હજુ પણ ગ્રામ્ય વિસ્તાર હોય તેવો વિકાસ દેખાઈ રહ્યો છે. આ વિસ્તારમાં સુવિધારૂપ એક સરકારી નવી સ્કૂલની નિર્માણ કરવામાં આવ્યું છે. સાથે સયાજી હોસ્પિટલનો જ એક યુનિટ લેપ્રેસી મેદાન ખાતે બનાવવામાં આવી રહ્યો છે. સાથે અહીંયા રીંગ રોડ પર થતા ટ્રાફિકની હળવો કરવા ઓવર બ્રિજ પણ પ્રગતિ પર છે. અમને મકાન ખાલી કરવા નોટિસ આપી છે, અમે ક્યાં જઈશું- મોહમ્મદ સલીમપાણીગેટ વિસ્તારમાં સ્થાનિક મોહમ્મદ સલીમ ગુલામ હુસૈન મન્સૂરીએ જણાવ્યું હતું કે, છેલ્લા ચાલીસ વર્ષથી અહીંયા રહું છું. પરંતુ ન કોઈ પથ્થર, ડામર કે પાણીનો નળ જોવા મળી રહ્યો છે. અહીંયા સુવિધાઓની વાત તો જવા દો તંત્ર મકાન ખાલી કરવા નોટિસ આપી જાય છે અમને વ્યવસ્થા વગર જઈશું ક્યાં. વોટ આપવો અધિકાર છે અને આપીશું પરંતુ તે સમયે નક્કી કરીશું કે કોને આપવો. અહીંના અન્ય એક સ્થાનિક મહિલા સકીના બેને જણાવ્યું કે, અમે રાજા રાણી તળાવ પાસે રહીએ છીએ. આસપાસ પાણી ભરાઈ જાય ત્યારે ખુબજ કીચડ જામી જાય છે અને સ્કૂલોમાં બાળકોને લઈને જતું રહેવું પડે છે. અહીંયા કોઈ સુવિધા નથી આપવામાં આવતી નથી. અમને નોટિસ આપવામાં આવે છે અને મકાન આપતા નથી. મકાન તોડવાની ધમકી આપી ડર આપી જતા રહે છે, વોટ લેવા આવશે તો અમે પહેલા કહીશું કે ઘર આપો, અને વોટ આપીશું. પરંતુ કોઈ સુવિધા નહીં આપે છતાં અમારી તો આ જ દુનિયા છે. અહીંના સ્થાનિક ચાંદમીયાએ જણાવ્યું હતું કે, અહીંયા કોઈ વિકાસ થયો નથી તમે જમીન પર જોઈ લો કેટલો વિકાસ થયો છે. ચૂંટણી આવે છે વોટ લઈ જતા રહે છે અને કોઈ સુવિધા આપતા નથી. અમારા મકાનને નોટિસ આપવામાં આવે છે પરંતુ નહીં તોડે કેમ કે બહુ જૂના છે. 'નેતાઓ અહીં વોટ લેવા આવે છે પણ સુવિધા આપતા નથી'અહીંના નાગરિક આરીફ દીવાને જણાવ્યું હતું કે, પાંચ વર્ષમાં વિકાસની વાત ક્યાં રોડના નામે કઈ અહીંયા બનતું નથી. અહીંયા વોટ લેવા આવે છે પરંતુ સુવિધાઓ આપતા નથી. અંદર કોઈ વિકાસ થયો નથી કોઈને ફેક્ચર હોય તો વધારે પ્રોબ્લેમ થાય તેવી છે. અહીંયા સરકારી પાણીના નળ હતા તે પણ બંધ કરી દીધા છે. વોટ લઈને ચાલ્યા જાય છે અને કામ માટે જઈએ તો કહે છે કે સાહેબ નથી. ચારે ચાર કોર્પોરેટર અહીંયા આવી વોટ લઈ જાય છે પરંતુ વિકાસના કામે કોઈ કામ થતું નથી. સ્મશાન યાત્રામાં અહીંથી નીકળવામાં આવે છે ત્યાં GEBનો થાંભલો નડે છે છતાં કોઈ હટાવતું નથી. એક્તાનગર બાપોદમાં રોડની સુવિધા મળે તેવી આશા છે- નટુભાઈઆ સાથે અમે એકતાનગર બાપોદ વિસ્તારમાં પહોંચ્યા હતા. અહીંના સ્થાનિક નટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, પ્રતાપનગરથી અમે 1981માં આવ્યા હતા અને શરૂઆતમાં અહીંયા મુશ્કેલી હતી. અહીંયા પાણી અને રોડની મુશ્કેલી હતી. અહીંયા થોડી સુવિધાઓ આવી છે પરંતુ અહીંના સ્થાનિક કોર્પોરેટરો વોટ લઈ અને જોવા આવ્યા નથી. અહીંયા આવનાર પાંચ વર્ષમાં રોડ મળે તેવી અપેક્ષા રાખી રહ્યા છીએ. અહીંના સ્થાનિક સમ્રાટભાઈએ જણાવ્યું હતું કે, અહીંયા અમે છેલ્લા ચાલીસ વર્ષથી રહીએ છીએ. છેલ્લા દસ વર્ષથી પાણીની સમસ્યા હતી જે છેલ્લા એક વર્ષમાં પૂર્ણ થઈ છે. અહીંયા રોડ રસ્તો જ ન હતો જેથી પથ્થર નાખવામાં આવ્યા છે. પહેલા ચોમાસામાં બહુજ ખરાબ પરિસ્થિતિ હતી. અહીંયા ઘરમાં હોય તો બહાર જવાનું મન ન થાય અને બહાર હોય તો ઘરે આવવાનું મન ન થાય. આવનાર દિવસોમાં વધુ સુધારો થાય તેવી આશા છે. અહીંયા ત્રીસ વર્ષમાં વિકાસનો સરવાળો ઝીરો થઈ ગયો છે- હિતેષ પેન્ટરઆ સાથે અમે કિશનવાડી વિસ્તારમાં પહોંચ્યા હતા. અહીંના વિસ્તારમાં રહેતા સ્થાનિક હિતેષ રમણ પેન્ટર છે અને કિશનવાડી વોર્ડ પાંચમાં આવે છે. અહીંયા છેલ્લા પાંચ વર્ષની વાત છોડો પરંતુ છેલ્લા ત્રીસ વર્ષમાં વિકાસના સરવાળો ઝીરો થઈ ગયો છે. અહીંયા વિધાનસભા 141 લાગે છે. દર વર્ષે ભાજપા તરફથી પાયલટો ઉતારવામાં આવતા હતા, અહીંયા કોર્પોરેટર આવતા નથી. જેના કારણે રોડ રસ્તો અને ગટર સહિત શુધ્ધ પાણીની સુવિધા આપી શક્યા નથી. વધુમાં કહ્યું કે, આ વિસ્તારમાં સૌથી મોટો પ્રશ્ન છે કે પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. શહેરમાં ઈલોરાપાર્ક, અલકાપુરી જેવા વિસ્તારોમાં સુવિધાઓ મળે છે જે પૂર્વ વિસ્તારને બાદ કરવામાં આવ્યો છે. અહીંયા રેસિડન્ટ વિસ્તારમાં ડમ્પીંગ યાર્ડ છે, બાજુમાં શાક માર્કેટ આવેલું છે. એટલે તેની દુર્ગંધથી અહીંના લોકો સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. અહીંયા રહેતા સંજયભાઇએ જણાવ્યું હતું કે, હું અહીંયા છેલ્લા પિસ્તાળીસ વર્ષથી રહુ છું, અહીંયા સમસ્યાઓ બહુ છે. અહીંયા મારા ઘરથી 100 મીટર દૂર ડમ્પીંગ યાર્ડ આવેલી છે. જેથી સવાર સાંજ અહીંયા દુર્ગંધ માળે છે. અહીંના સ્થાનિક લોકો સાથે રાખી આંદોલન કર્યું છતાં તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી. અહીંયા કોઈ પણ મત લેવા માટે આવશે તો અમે તેનો જવાબ આપીશું. અમારી સમસ્યાનો નિરાકરણ લાવશે તો અમે ચોક્કસથી તેને વોટ આપીશું. અહીંયા કોઈ પણ વ્યક્તિ કોર્પોરેટરોને ઓળખાતા નથી. એકવાર અહીંયા વોટ લઈને ગયા પછી જોવા આવ્યા નથી. આ અંગે વોર્ડ પાંચમાં વોર્ડ પ્રભારીની જવાબદારી નિભાવતા આમ આદમી પાર્ટીના પ્રકાશભાઈ બારોટે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રીસ વર્ષથી વડોદરામાં ભાજપનું શાસન છે, છતાં અહીંયા પીવાના શુદ્ધ પાણીની મોટી સમસ્યા છે, પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી. અહીંયા ડ્રેન્જની સમસ્યા છે, રખડતા ઢોરોનો ત્રાસ છે. અહીંય છોકરાઓને સ્કૂલે મોકલવામાં તકલીફ પડે છે અને સ્કૂલોની સ્થિતિ ખરાબ છે. અહીંયા સામાન્ય વરસાદમાં વિસ્તારમાં પાણીથી છલોછલ થઈ જાય છે. 'ડમ્પીંગ યાર્ડના કારણે અહીં દીકરા-દીકરીના સગપણ થતા નથી'વધુમાં કહ્યું કે, વોર્ડ પાંચ અને છ માં આવરી લેતી કિશનવાડી ગધેડા માર્કેટ પાસે આવેલ ડમ્પીંગ યાર્ડ છેલ્લા પંદર વર્ષથી અહીંયા અડિંગો જમાવી બેઠેલ ડમ્પીંગ યાર્ડને લઈ અમે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહ્યા છીએ તે ભાજપ તરફથી ભેટ મળેલી છે. અહીંયા કોઈ પણ વ્યક્તિ આવે તો કિશનવાડીમાં ગંદકીનો સામનો કરવો પડતો હોય છે. અહીંના વિસ્તારની હાલાકી એવી છે કે અહીંના દીકરા દીકરીના સગપણ પણ થતા નથી. અહીંયા ઉંદર, મચ્છરનો ત્રાસ છે, જરૂરી સુવિધાઓનો અભાવ છે. અહીંયા સમસ્યા અંગે અનેકવાર રજૂઆત બાદ તેઓ અહીંયા આવે છે. આ વોર્ડમાં છેલ્લા પાંચ વર્ષમાં વિકાસ અને વાયદા વચ્ચે ભાજપના કોર્પોરેટર હોવા છતાં વિકાસ સાથે સમસ્યાઓની અહીંયા ભરમાર જોવા મળી રહી છે. અમે લોકોની સમસ્યાઓ અને કામગીરી અંગે સતાધારી પક્ષ ભાજપના વૉર્ડ પ્રમુખનો સંપર્ક કર્યો જો કે તેઓનાથી લોકો નારાજ હોય તેમ કઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો. સાથે સાત જીતની આશામાં વર્ષોથી લડત ચલાવતા કોંગ્રેસ પક્ષના પ્રમુખનો સંપર્ક કર્યો જો કે તેઓને પણ પ્રજાના પ્રશ્નો અંગે કઈ પડી ન હોય તેમ વાતચીત કરવા તૈયાર થયા ન હતા અને સમય નથી તેવું કહી ચૂપકી સાધી હતી. 'પાણીની સમસ્યા મુદ્દે અધિકારીઓ અમારું સાંભળતા નથી'આ અંગે ભાજપના પૂર્વ કોર્પોરેટર પ્રફુલાબેન જેઠવાએ જણાવ્યું હતું કે, હાલમાં પૂર્વ વિસ્તારમાં ઘણાબધા વિકાસલક્ષી કામો ચાલી રહ્યા છે. અમારા વિસ્તારમાં પાણીની સમસ્યા તો છે જેને લઈ અમે પણ સત્તત કામગીરી કરી રહ્યા છીએ. પુરતું પાણી હોવા છતા અધિકારીઓ વાત સંભાળતા નથી. અમે અધિકારીઓને કહીએ છીયે કે નળમાં પાણી આવે તેટલું આપે. અમે છેલ્લા પાંચ વર્ષથી અમે ખુબજ લડ્યા છીએ. અમારા વિસ્તારમાં ખારું પાણી હોવાથી અહીંયા થોડી સમસ્યા વધારે છે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
જ્યારે કોઇ સ્ત્રીના સપનાને પિયરની શિસ્ત અને સાસરી પક્ષ તરફથી અતૂટ વિશ્વાસ મળી જાય છે ત્યારે તે સ્ત્રી ઇતિહાસ રચવા માટે સક્ષમ બની જાય છે. આવું જ કંઇક કરી બતાવ્યું છે જામનગરની દીકરી અને રાજસ્થાનના બાડમેરની પુત્રવધુ દીપુ કંવર ચૌહાણે. દીપુએ રાજસ્થાની પરંપરા પ્રમાણે ઘૂંઘટ તાણવાની મર્યાદા પાળવાની સાથોસાથ જજ બનવા સુધીની સફર ખેડી છે પણ તેની આ સફર કંઇ સામાન્ય નહોતી. કેમ કે 2-2 વાર પરીક્ષામાં ફેલ થવા છતાં તેમણે હિંમત હારવાને બદલે નિષ્ફળતાને જ સફળતાની ચાવી બનાવી દીધી. જજ બનવાનું સપનું જોવાથી લઇને સફળતા મેળવવા સુધીની સફર વિશે દિવ્ય ભાસ્કરે દીપુ કંવર ચૌહાણ સાથે એક્સક્લૂસિવ વાતચીત કરી હતી. એક માતા હોવા છતાં પોતાની દીકરીથી દૂર રહીને પણ તેમણે ઘરના એક રૂમને હોસ્ટેલમાં ફેરવી નાખ્યો. જેના કારણે તેનું સપનું સાકાર થયું છે. દીપુના લગ્ન બાડમેરના જાલીપાના રહેવાસી લોકેન્દ્રસિંહ સાથે થયા છે. જ્યારે દીપુ કંવર સાસરે ગયા ત્યારે જ તેમના મનમાં જજ બનવાની ઇચ્છા હતી. ત્રીજા પ્રયત્ને સફળતા મળીતેમણે વર્ષ 2022માં પહેલીવાર ગુજરાત ન્યાયિક સેવા માટેની પરીક્ષા આપી ત્યારે પ્રિ અને મેઇન્સ બન્ને ક્લીયર કરી લીધી હતી પણ ઇન્ટરવ્યૂમાં સફળતા નહોતી મળી. આના પછી 2023માં ફરીથી પરીક્ષા આપી ત્યારે મેઇન્સ ક્લીયર ન થઇ. 2025માં તેમણે ત્રીજીવાર પરીક્ષા આપી અને 79મો રેન્ક મેળવીને સફળતા હાંસલ કરી હતી. રિઝલ્ટ આવ્યું ત્યારે મોબાઇલ હાથમાં જ હતો10મી માર્ચે જ્યારે ફાઇનલ રિઝલ્ટ આવ્યું ત્યારે દીપુ કંવર જામનગરમાં હતા. તેમના હાથમાં મોબાઇલ હતો. તેમણે મોબાઇલમાં જોયું પણ ખરા કે રિઝલ્ટ આવ્યું છે પણ રિઝલ્ટ જોતાં પહેલાં મંદિરે ગયા અને પ્રાર્થના કરી કે મારૂં નામ આવી જાય. આના પછી રિઝલ્ટ જોયું તો તેમાં નામ હતું. તેમને તો વિશ્વાસ જ ન થયો. દીપુએ સૌથી પહેલાં પિતાને જાણ કરી અને રાત્રે જ જામનગરથી બાડમેર જવા નીકળી ગયા. સાસરિયામાં પહોંચીને જાણ કરી તો ત્યાં ખુશી છવાઇ ગઇ હતી. પિતાની શિસ્તે સફળતાનો પાયો નાખ્યોદીપુ કંવરને નાનપણથી જ મોટા ઓફિસર બનવાની ઇચ્છા હતી. તેમણે દિવ્ય ભાસ્કરને કહ્યું, હું જ્યારે ત્રીજા કે ચોથા ધોરણમાં ભણતી હતી ત્યારથી ભણવામાં મને ખૂબ જ રૂચિ હતી. ત્યારે એવી કોઇ ખબર નહોતી પડતી કે મારે જજ બનવું છે કે બીજું કંઇ બનવું છે પણ મેં એટલું ચોક્કસ નક્કી કર્યું હતું કે મારે કોઇ મોટા ઓફિસર બનવું છે. મારૂં બાળપણ ખૂબ જ સારા ઉછેર સાથે થયું છે. મારા પિતા પહેલેથી જ ડિસિપ્લીન અને વેલ મેનરમાં માને છે એટલે મારી સફળતાનો પાયો ત્યાંથી જ નંખાયો હતો. સાસરિયા તરફથી સારો સહકાર મળ્યોઃ દીપુ કંવરજ્યારે LLBના બીજા વર્ષમાં હતા ત્યારે તેમના લગ્ન થયા હતા. તેમણે જણાવ્યું કે, હું જેમ જેમ આગળ ભણતી ગઇ તેમ તેમ ડિસિપ્લીન સાથે આગળના અભ્યાસ પર ફોકસ કર્યું અને નક્કી કર્યું કે મારે જજ બનવું છે. આ માટે મેં પહેલાં LLBનો અભ્યાસ શરૂ કર્યો. જ્યારે હું બીજા વર્ષમાં આવી ત્યારે મારા પરિવારે મારા લગ્ન કરાવ્યાં. લગ્ન નક્કી થયા એ પહેલાંથી જ મારા સાસરિયાઓને ખબર હતી કે હું જજ બનવા માંગુ છું. મારા પતિનો પરિવાર ખૂબ જ સારો હતો. તેમનો મને સારો સહકાર મળ્યો છે. લગ્ન બાદ દીપુને તેના સાસરિયાઓએ કહ્યું હતું કે તમારી પ્રેક્ટિસ જામનગરમાં ચાલે છે તો તમે ત્યાં જ રહો અને જજ બનવા માટેની તૈયારી કરો. સસરાએ કહ્યું- તમારે કોઇ કામ નથી કરવાનુંસસરાએ ઘરકામને બદલે ભણવા પર ધ્યાન આપવા કહ્યું તે ક્ષણ કેટલી મહત્વની હતી? તેના વિશે પણ દીપુએ વાત કરી.તેઓ જણાવે છે કે, મારા સસરા મને કહેતાં હતા કે બેટા તમારે કંઇ કામ નથી કરવાનું. જેથી મને હંમેશા એક મોટિવેશન મળતું હતું કે મારો પરિવાર પણ ભણતરમાં ખૂબ જ સપોર્ટ કરી રહ્યો છે. આના કારણે જજ બનવાના મારા લક્ષ્ય સુધી પહોંચવાની મારી આશા વધુ સ્પષ્ટ બનતી હતી. જ્યારે પરિવાર સપોર્ટમાં આવે છે ત્યારે આપણું સપનું એ આપણા પૂરતું સિમિત નથી રહેતું પણ તે પરિવારનું સપનું બની જાય છે. માતા બન્યા પછી પણ કેવી રીતે સપનાને સાકાર કરી બતાવ્યું એ અંગે તેમણે જણાવ્યું કે, આ સમય મારા માટે પડકાર જેવો તો હતો જ પણ મારા પિતાએ બાળકોનો ઉછેર કેવી રીતે કરવો તે શીખવ્યું છે. એટલે મેં મારા બાળકનો ઉછેર પણ એવી રીતે જ કર્યો કે તે મારાથી અલગ રહી શકે છે. મારી દીકરી મારા વગર બધું જ કામ કરી શકે છે. તેના નાના-નાની અને દાદા-દાદી સાથે રહી શકે છે. હાલમાં પણ મારી દીકરીને ખબર છે કે મારા મમ્મી જજ બન્યાં છે તો હવે તેમણે ટ્રેનિંગમાં જવું પડશે તો એ સામેથી જ કહે છે કે હું તો નાના-નાની સાથે જ રહીશ. પુસ્તકોની વચ્ચે દિવસો પસાર કર્યાપરીક્ષા પહેલાંની તૈયારી માટે દીપુએ ઘરના જ એક રૂમને હોસ્ટેલ બનાવી દીધો હતો. આ અંગે તેમણે કહ્યું, જ્યારે પરીક્ષા આવતી ત્યારે હું ઘરના એક રૂમને હોસ્ટેલ બનાવી દેતી હતી. એ રૂમમાં મને ચા, કોફી, જમવાનું મળી જતું બાકી એ રૂમમાં હું સતત ભણવાનું જ કામ કરતી હતી. જ્યાં ખાલી મારું ટેબલ અને બુક્સની વચ્ચે જ મેં દિવસો પસાર કર્યાં હતા. મેં એટલા સમય દરમિયાન મારા પરિવારના સભ્યો સાથે પણ કટ ઓફ કરી દીધો હતો. ભૂલો સુધારવાથી સફળતા મળે જ છેઃ દીપુ કંવરઆ સફળતા માટે કેવી રીતે પોતાની જાતને માનસિક રીતે તૈયાર કરી એ અંગે તેમણે કહ્યું, જ્યારે હું બે વાર ફેલ થઇ ત્યારે એ સમય દરમિયાન મને મનમાં સતત થતું હતું કે હું ફેલ થઇ ગઇ છું. પણ મારા કિસ્સામાં આ વસ્તુ ટેમ્પરરી જ રહી હતી. એ પછી ફરી પાછી ભણવા માટે એનર્જી આવી ગઇ કેમ કે એક્ઝામ આવતી હતી એટલે એવું જ હતું કે મારે એક્ઝામની તૈયારી કરવાની છે. બાકી પ્રેક્ટિસ તો ચાલતી જ હતી. જેમાંથી મને મોટિવેશન મળતું હતું. મારા મતે તો નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે. 'સપનું પૂરૂં કરવાની જીદ હોવી જોઇએ'તેમણે અન્ય સ્ત્રીઓને લગ્ન બાદ પોતાના સપનાને અભેરાઇએ ચડાવી દેવાને બદલે પોતાની ક્ષમતા અને લાયકાત સાબિત કરવાની અપીલ કરી.દીપું કંવરે કહ્યું, આજે પણ લોકોને ન્યાયતંત્ર પર શ્રદ્ધા અને વિશ્વાસ છે. તે જાળવી રાખવા અને કાયદાને આધિન રહીને હું આ ફિલ્ડમાં આગળ વધીશ. લગ્ન પછી પોતાના સપનાઓને સાઇડમાં મૂકી દેતી અનેક સ્ત્રીઓને હું કહેવા માંગુ છું કે તમે તમારા પરિવાર સામે એ સાબિત કરી બતાવો કે તમારૂં સપનું પૂરૂં કરવાની તમારામાં ક્ષમતા અને લાયકાત છે. આના પછી બધુ ફેમિલી ઉપર છે. જો એ લોકોને ખરેખર વિશ્વાસ આવી જશે તો ફેમિલી ચોક્કસ સપોર્ટ કરશે જ. તમારું સપનું પૂરૂં કરવાની જીદ તમારામાં હશે તો તમે ચોક્કસ તે પૂરૂં કરી શકશો.
આજે વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે છે. ત્યારે દિવ્ય ભાસ્કરે વાત કરી જાણીતા ઓટિઝમ એક્સપર્ટ ડૉ.કેતન પટેલ સાથે. જેઓ પાછલા ઘણા વર્ષોથી હોમિયોપેથીના માધ્યમથી ઓટિઝમ ગ્રસ્ત બાળકોની સારવાર કરી રહ્યા છે. આવા બાળકોમાં કેવા લક્ષણો જોવા મળે છે? ઓટિઝમ કઈ રીતે થાય છે ? અને શું ખરેખર ઓટિઝમને કાયમી રીતે દૂર કરી શકાય છે ? જાણવા માટે જુઓ ડૉ.કેતન પટેલ સાથેની ખાસ વાતચીત.
ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હંમેશાથી વિવાદમાં રહ્યો છે. તાજેતરનો જ કિસ્સો ગાંધીજીની જન્મભૂમિ એવા પોરબંદરમાં લિકર શોપ ખોલવાની પરવાનગી બાબતનો છે. ગુજરાતમાં કથિત કડક નિયમો વચ્ચે કોઈએ કાયદેસર દારૂ પીવો હોય તો પરમિટ લેવી પડે. ગુજરાતમાં રહેતા લોકો બીમારીનું કારણ ધરીને પરમિટ મેળવી શકાય. પણ આ છૂટછાટમાં કેવી કેવી પોલમપોલ ચાલે છે તેનો પર્દાફાશ દિવ્ય ભાસ્કરની તપાસમાં થયો છો. 1960માં ગુજરાત અસ્તિત્વમાં આવ્યું ત્યારે બોમ્બે સ્ટેટના કેટલાક કાયદા અપનાવ્યા હતા. જેમાંનો એક કાયદો પ્રોહિબિશનને લગતો હતો. દિવ્ય ભાસ્કરે એ સમયની પોલિસીથી લઈને અત્યારે લાગૂ પડતા કાયદાનો અભ્યાસ કર્યો, હાલમાં કોઈ ગુજરાતીને દારૂ પીવાની પરમિટ લેવી હોય તો પ્રક્રિયા શું છે અને એમાં ક્યાં છીંડા પડી ગયા છે એ જાણવાનો પ્રયાસ કર્યો. ડોક્યુમેન્ટેશનથી માંડીને અરજદારની મેડિકલ પ્રોફાઇલ બનાવવાની પ્રોસેસને સ્કેન કરી. જાણિતા ડોક્ટરોને પૂછ્યું અને WHO જેવી વૈશ્વિક સંસ્થાઓના રિપોર્ટ્સનો અભ્યાસ કર્યો. તો ચોંકાવનારી હકીકત સામે આવી. સરકાર દારૂની સત્તાવાર પરમિટ કેવી રીતે આપે છે?અગાઉ ગુજરાતની નશાબંધી અને આબકારી કચેરીમાં કોઈપણ પરવાનો મેળવવા માટેની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓફલાઈન હતી. અરજદારોને ફોર્મ ભરવા, બેંકમાં ચલણ દ્વારા ફી ચૂકવવા અને ડોક્યુમેન્ટ માટે પણ ધક્કા ખાવા પડતા હતા. આ પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર પણ ધમધોકાર ચાલતો હોવાની ફરિયાદો આવતી હતી. એટલે થોડા સમય પહેલાં જ લિકર પરમિટની પ્રક્રિયા ઓનલાઇન કરી નાખવામાં આવી છે. હવે, http://eps.gujarat.gov.in નામની વેબસાઇટ મારફત પરથી અરજી કરીને દારૂની પરમિટ મેળવી શકાય છે. જેમાં લોગ-ઇન આઇડી જનરેટ કરવી પડશે. ત્યાર બાદ વેબસાઇટ પર આપેલી વિગતો ભરીને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. પછી ઇ-પરમિટની પ્રિન્ટ કાઢીને તમામ ડોક્યુમેન્ટનું રૂબરુમાં વેરિફિકેશન કરાવવાનું હોય છે. એટલું જ નહીં, અરજદારે મેડિકલ બોર્ડ સામે હાજરી આપવાની હોય છે, ત્યાંથી તેઓ એક સર્ટિફિકેટ મળે છે. આમ, કુલ પાંચેક સ્ટેપમાં પરમિટનું કામ પૂરું થઈ જાય છે. જો કે પહેલી નજર એકદમ સીધી અને સરળ લાગતી આ પ્રોસેસમાં અમને કેટલાક ચોંકાવનારા તથ્ય મળ્યા. ગુજરાત નશાબંધી અને આબકારી વિભાગે નક્કી કરેલી સત્તાવાર SOPમાં ચાર મુખ્ય બાબતો છે. કોઈપણ વ્યક્તિએ આરોગ્ય કારણોસર લિકર પરમિટ મેળવવી હોય તો ડૉક્ટરની ભલામણ જોઈએ. ગુજરાતમાં અનિંદ્રા, હાઇપર ટેન્શન, હૃદયરોગ તેમજ કિડનીના રોગમાં ડોક્ટરની ભલામણથી દારૂની પરમિટ મળતી હોય છે. ફોર્મ S-3ની આશ્ચર્યચકિત કરતી વિગતોઆ પ્રક્રિયામાં સૌથી મહત્વનું ડોક્યુમેન્ટ એટલે ફોર્મ S-3. આ ફોર્મ ડૉક્ટર દ્વારા ભરવામાં આવે છે. એક પ્રકારના આ સર્ટિફિકેટમાં ડૉક્ટર જે તે વ્યક્તિની તપાસ કરીને વિગતો ભરે છે. આ સર્ટિફિકેટમાં લખેલી વિગતો જ હેલ્થ ઇશ્યુના કારણે મળતી લિકર પરમિટ પર પ્રશ્ન ઉભા કરે છે. ગુજરાતના વતની હોય અને દારૂની પરમિટ માટે ફોર્મ S-3 લીધું હોય એવા એક વ્યક્તિને અમે શોધ્યા. તેમના ફોર્મ S-3 સર્ટિફિકેટમાં કુલ 9 પ્રકારની માહિતી ડૉક્ટરે ભરેલી હતી. જેમ કે નામ, સરનામું, ઉંમર, ઊંચાઈ, વજન તેમજ બ્લડપ્રેશર જેવી વિગતો. આ વિગતો ડૉક્ટરે ભરવાની હોય છે. પરંતુ ફોર્મમાં નીચેના ભાગમાં 3 વાક્ય ખૂબ જ આશ્ચર્યજનક રીતે અગાઉથી જ છાપેલા જોવા મળે છે. આ વ્યક્તિની તપાસ કરવામાં આવી, જેના આધારે પ્રમાણિત કરવામાં આવે છે કે...1. તેનું શારીરિક સ્વાસ્થ્ય સારું છે અને તેને કોઈપણ શારીરિક ખામી નથી2. સ્થિર માનસિક સ્થિતિમાં હોવાનું જાણવા મળ્યું છે અને હિંસક વલણ ધરાવતું નથી3. કોઈપણ એવા પદાર્થ પર નિર્ભર (વ્યસની) માલૂમ પડી નથી, જે કેફી અથવા માદક અસરો ધરાવતો હોય ડૉક્ટરનો દાવો- અમે ઇશ્યુ કરેલા સર્ટિફિકેટનું વેરિફિકેશન નથી થતુંઆ ઉપરાંત ડૉક્ટર ભલામણ કરતો એક સર્ટિફિકેટ આપે છે. જેમાં લખ્યું હોય છે કે જે તે વ્યક્તિને અમુક બીમારીના કારણે દારૂની જરૂરીયાત છે. પણ આવા સર્ટિફિકેટ આપનાર એક ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે સર્ટિફિકેટના વેરિફિકેશન માટે ઇશ્યુ કરનાર ડૉક્ટર કે હોસ્પિટલનો સંપર્ક કરવામાં આવતો નથી. આમ, આવી લોલમલોલ ઘણા સવાલો ઉભા કરે છે. ડૉક્ટર પાસેથી સર્ટિફિકેટ મેળવી લીધા બાદ અરજદારે નશાબંધી ખાતામાં ઓનલાઈન અરજી કરવાની હોય છે. તેમાં ડૉક્ટરનું સર્ટિફિકેટ, સિવિલ સર્જનનું સર્ટિફિકેટ, આધાર કાર્ડ સહિતના તમામ ડોક્યુમેન્ટસને અરજીની સાથે ઓનલાઈન અપલોડ કરવાના હોય છે. તેમજ જરૂરી ફી પણ ઓનલાઈન ભરી દેવાની હોય છે. ત્યાર બાદ નશાબંધી ખાતામાંથી મેસેજ આવતા રહે છે. જો કોઈ ડોક્યુમેન્ટ્સ ખૂટતા હોય તો ઇ-મેલ કરીને દસ્તાવેજોને મંગાવવામાં આવે છે. ગુજરાતમાં 26 સ્થળે મેડિકલ બોર્ડ બેસે છેહેલ્થ પરમિટ માટે સરકારી મેડિકલ બોર્ડની તપાસ અનિવાર્ય છે. નશાબંધી વિભાગના ડેટા પ્રમાણે આવા મેડિકલ બોર્ડ ગુજરાતમાં 26 સ્થળે છે. એટલે અરજદારે પોતાના વિસ્તારની સિવિલ હોસ્પિટલના એરિયા મેડિકલ બોર્ડ સમક્ષ હાજર થવું પડે છે. જ્યાં ડૉક્ટરો અરજદારના આરોગ્યની તપાસ કરે છે. તેમજ રિપોર્ટ આપે કે અરજદારને ખરેખર કોઈ બીમારી એટલે કે અનિદ્રા, હૃદયની કે અન્ય કોઈ ગંભીર બીમારી છે કે જેથી તેમને દારુ પીવાથી ફાયદો થઈ શકે. બોર્ડના રિપોર્ટ બાદ જ અરજદારને દારુ પીવાની પરમિટ આપવામાં આવે છે. જો બોર્ડ ના પાડે કે, અરજદારને જરૂર નથી તો પછી દારુની પરમિટ અપાતી નથી. સામાન્ય રીતે એકાદ મહિનામાં અરજીને સ્વીકારી હોવાનો મેસેજ આપીને લાયસન્સ લઈ જવાનું કહેવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાંથી મળેલા સર્ટિફિકેટ અને 3 લાખની આવકનો દાખલો હોય તેવી મોટાભાગની અરજીના રિજેક્શનની સંખ્યા ઓછી હોય છે. પરમિટના નામે કેટલા રૂપિયા સરકારી તીજોરીમાં જાય છે?અરજદારે સૌ પ્રથમ તપાસ કરનારા ડૉક્ટરને 1000થી 2000ની ફી ચૂકવવી પડે છે. ત્યાર બાદ સિવિલ હોસ્પિટલમાં જાય ત્યારે વિવિધ પ્રકારના બોડી ચેકઅપ માટે લગભગ 4થી 5 હજારનો ખર્ચ થાય છે. ત્યાર બાદ સિવિલ સર્જન સર્ટિફિકેટ આપે એટલે સિવિલને 25 હજાર રુપિયાની સત્તાવાર ફી ચૂકવવી પડે છે. જ્યારે જૂની પરમિટના રિન્યુ માટે 20 હજાર સુધીનો ચાર્જ ચુકવવો પડે છે. અરજી કરવામાં આવે ત્યારે નશાબંધી ખાતાને પણ 6 હજાર રૂપિયાની ફી ઓનલાઈન ભરવાની હોય છે. આમ, અરજદારને કુલ 45 હજાર રૂપિયાની આસપાસની સત્તાવાર ફી ચૂકવવાની થાય છે. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભામાં સવાલ કર્યો કે 20 જાન્યુઆરી, 2026 સુધીમાં છેલ્લા બે વર્ષમાં વર્ષવાર રાજ્યમાં હેલ્થ લિકર પરમિટ ફીની કેટલી આવક થઈ? જેના જ જવાબમાં સરકારે માહિતી આપે કે 21 જાન્યુઆરી, 2024થી 20 જાન્યુઆરી 2025 સુધીમાં 7 કરોડ 88 લાખ 68 હજાર રૂપિયાની આવક થઈ છે. બીજા વર્ષે એટલે કે 21 જાન્યુઆરી, 2025થી 20 જાન્યુઆરી, 2026 દરમિયાન 8 કરોડ 63 લાખ 15 હજાર રૂપિયાની આવક થઈ છે. આ રકમ ગરીબ દર્દીઓની સારવાર માટે વાપરવામાં આવતી હોવાનો દાવો કરાતો હોય છે. પરમિટ મેળવી આપવામાં પણ એજન્ટો એક્ટિવ હોવાનો દાવોસૂત્રોના જણાવ્યા પ્રમાણે પરમિટની પ્રક્રિયા ઓનલાઇન થઈ ગયા બાદ પણ કેટલાક એજન્ટ રૂપિયા લઈને આવી દોડાદોડીનું કામ પતાવી આપે છે. જો કોઈ વ્યક્તિ એજન્ટને પકડીને કામ સોંપે તો 20 હજાર વધુ ચૂકવવા પડે છે. આ એજન્ટ જ અરજદાર પાસેથી ડોક્યુમેન્ટ્સ લઈને સિવિલમાં જમા કરાવી દે છે. જરૂર પડે તો અરજદારે એકાદ વખત સિવિલ હોસ્પિટલ સુધી ધક્કો ખાવો પડે છે. બાકીનું તમામ કામ એજન્ટ જ પતાવી આપે છે. નશાબંધી ખાતામાં પણ તે ઓનલાઈન અરજી સહિતની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દે છે. સામાન્ય રીતે કોઈપણ સરકારી પોર્ટલ પરથી કોઈ યોજનાની અરજી કરવાની હોય કે પરમિશન માટે ફોર્મ ભરવાનું હોય તો જે તે પોર્ટલ પર તમામ માહિતી મૂકાતી હોય છે. ખાસ કરીને અરજી કરવા માટે કયા-કયા દસ્તાવેજની જરૂર છે તેની માહિતી અપાતી હોય છે. પરંતુ નશાબંધી ખાતાના પોર્ટલ પર આવી સ્પષ્ટ વિગતો જોવા મળતી નથી. દારૂની પરમિટ મેળવનારે અંદરની હકીકત જણાવીગુજરાતની વતની અને સ્વાસ્થ્યનું કારણ આપીને પરમિટ ધરાવતા એક વ્યક્તિએ પોતાની ઓળખ છૂપાવવાની શરતે જાણકારી આપતા કહ્યું, દારૂ પીવાથી તબીયત સુધરી જાય એવું નથી કહેતો. પરંતુ પરમિટથી સરકારી ધોરણે મળતો દારૂ ઓછું નુકસાન કરે છે. દારૂના સેવનથી શારીરિક સમસ્યા સાવ મટી જાય એવું નથી. કારણ કે હાર્ટ, કિડની અને લિવરને લગતા અનેક રોગ થાય છે. તેમણે કહ્યું, પરમિટ મળ્યા બાદ પણ ઘણા બધા નિયમોનું પાલન કરવું પડે છે. જેમ કે હેલ્થ પરમિટ હેઠળ જે સરનામું આપ્યું હોય ત્યાં જ દારૂ પીવાની છૂટ મળે છે. ગુજરાત કે ગુજરાત બહાર આવા દારૂને લઈ નથી જઈ શકતા. દારૂ પીને ડ્રાઇવિંગ ન કરી શકો, બીજી કોઈ વ્યક્તિને આ દારૂ આપી ન શકો. વધુમાં જણાવ્યું, એવું નથી કે હેલ્થ પરમિટ હેઠળ અરજી કરો એટલે પાસ થઈ જાય. એના માટે ઘણા નિયમો-શરતોનું પાલન કરવું પડે છે. હાલના સમયે લિકર પરમિટની સિસ્ટમ ઓનલાઈન થઈ ગઈ છે. ઘણા બધા લોકોને આ પ્રોસેસમાં ખબર નથી પડતી તો તેમને મદદ કરવા માટે માણસો પણ મળી રહે છે અને તેઓ નાની-મોટી “ફી” પણ લેતા હોય છે. ડ્રાય સ્ટેટ ગુજરાતમાં કઈ પરમિટમાં કેટલો દારૂ અને બિયર મળી શકે છે? સરકારી અને રાજકીય દાવા પ્રમાણે ગુજરાત ભલે ડ્રાય સ્ટેટ ગણાતું હોય પરંતુ લિકર પરમિટ મળ્યા બાદ 40થી 50 વર્ષ સુધીની વ્યક્તિ મહિને 3 યુનિટ એટલે કે 3 બોટલ મળી શકે છે. 50થી 65 વર્ષ સુધીના પરમિટધારકને મહિને 4 યુનિટ, જ્યારે 65થી વધુ વર્ષ કરતાં વ્યક્તિને 5 યુનિટ બોટલ દારૂ આપવામાં આવે છે. અમે લિકર પરમિટનો આધાર જે બીમારી પર છે તે બાબતે મેડિકલ સાયન્સ શું કહે છે એ જાણવાનો અમે પ્રયાસ કર્યો. અમદાવાદમાં આવેલી SGVP હોસ્પિટલના હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉ.કૃષ્ણ કિશોરે કહ્યું, મને દર્દીઓ આવીને પૂછે છે કે દારૂ પીવાથી તો લોહી પાતળુ થશે ને? તો હું જવાબ આપું છું કે આ ખોટી ધારણા છે. એક સવાલના જવાબમાં ડૉ.કૃષ્ણ કિશોરે કહ્યું, બ્લડપ્રેશર અને કોલસ્ટ્રોલ માટેની ઘણી બધી દવાઓ ઉપલબ્ધ છે. અનિંદ્રા માટે દવા આવે છે પણ સ્ટ્રેસ હોય તો મેડિટેશન કરો, યોગ કરો અને દવા વગર જ ઊંઘ આવે એવો પ્રયાસ કરવો જોઈએ. કોઈને બ્લડપ્રેશરની સમસ્યા હોય અને દારૂ પીવાનું ચાલુ રાખશે તો વજન વધશે અને ભવિષ્યમાં ડાયાબિટીસ પણ થઈ શકે છે. આમ, દારૂ પીવાથી સારું થશે એ માન્યતા ખોટી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના પૂર્વ સુપરિટેન્ડેન્ટ ડૉ.એમ.એમ.પ્રભાકરને પણ આ સવાલ કર્યો. કારણ કે લિકર પરમિટની પ્રક્રિયામાં સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટની પણ મહત્વની ભૂમિકા હોય છે. તેમણે કહ્યું, વૈજ્ઞાનિક રીતે જોઈએ તો એવો કોઈ રોગ નથી જેના માટે દારૂ પીવો પડે. છતાં પણ અમુક રોગ આવે છે જેમાં રાત્રે ઊંઘ ન આવે, છાતીનું દુખતું હોય. દારૂના કારણે નસો ફૂલી જાય છે, લોહીનું પરિભ્રમણ વધે છે. એટલે ફાયદો થતો હોય છે. ગુજરાત, બિહાર જેવા રાજ્યોમાં જ આવા પ્રતિબંધ છે, બાકી આખા ભારતમાં છૂટ છે. ડૉ.પ્રભાકરે આ પરમિટ પાછળનું એક “કડવું સત્ય” જણાવ્યું… અમદાવાદના ભૂયંગદેવ વિસ્તારમાં આવેલી સંજીવની હોસ્પિટલના કન્સલ્ટન્ટ ફિજીશિયન અને કાર્ડિયોલોજિસ્ટ ડૉ.દેવાંગ શાહનો પણ અમે મત જાણ્યો. તેમણે કહ્યું, જો વધારે દારૂ પીવામાં આવે તો લિવર અને બીજા અંગો પર આડઅસર થાય છે. જે લોકોને એન્જાયટી ડિસઓર્ડર છે એ લોકો નિયમિત પણે નહીં પણ એન્જાયટી અટેક આવે ત્યારે ઓછી માત્રામાં લે તો તેમના સ્વાસ્થ્ય માટે ફાયદો ગણાય. પરંતુ આવી મેડિકલ જરૂરીયાતના નામે લોકો ખોટી રીતે પરમિટ મેળવે છે. જે તેમના હેલ્થ માટે પણ નુકસાનકારક છે. દારૂ પીવાથી અનિંદ્રા, હાઇપર ટેન્શન, હૃદયરોગ તથા કિડનીની બીમારીમાંથી રાહત મળતી હોય એ બાબતે ડોક્ટરોનો પણ એકમત નથી. એટલે દારૂ બાબતે થયેલી મોટી સંસ્થાઓનું રિસર્ચ શું કહે છે એ તપાસ કરી. આ શોધખોળમાં અમને મેડિકલ જર્નલ પ્રકાશિત કરતી વિખ્યાત સંસ્થા લેન્સેટ તથા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશનનું એક સંશોધન મળ્યું. જાન્યુઆરી, 2023માં પ્રકાશિત થયેલી આ સ્ટડીનું ટાઇટલ છે… “ઓછા પ્રમાણમાં દારૂનું સેવન કરો તો પણ આરોગ્ય અને કેન્સરનું જોખમ” WHOની વેબસાઇટ પર ડિટેલમાં ઉપલબ્ધ આ જર્નલમાં સ્પષ્ટ લખ્યું છે કે દારૂના સેવનથી થતા જોખમો અને નુકસાનનું પદ્ધતિસરનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને ડોક્યુમેન્ટેશન કરવામાં આવ્યું. WHOના તાજેતરના અંદાજ મુજબ, 2016માં વૈશ્વિક સ્તરે દારૂના સેવનથી 30 લાખ લોકોના મોત થયા હતા. વિશ્વભરમાં રોગ અને ઇજા કારણે થયેલા કુલ મૃત્યુમાં આ દર 5.1% હતું. દારૂનું સેવન ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓના વધતા જોખમ સાથે જોડાયેલું છે. દારૂનું વ્યસન લિવર અને માનસિક સ્વાસ્થ્ય સહિત અનેક બીમારીનું કારણ બની શકે છે. દારૂનો ઉપયોગ અકાળ મૃત્યુ માટેના મુખ્ય જોખમી પરિબળોમાંનો એક છે. 20-39 વર્ષની વયના લોકોના કુલ મૃત્યુના 13.5% મૃત્યુ દારૂને કારણે થાય છે. ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર મુજબ, દારૂ એક ઝેરી, સાયકોએક્ટિવ (મન પર અસર કરનાર) અને વ્યસની બનાવતો પદાર્થ છે અને તે 'ગ્રુપ 1' કાર્સિનોજન (કેન્સરકારક તત્વ) છે જે અન્નનળી, લિવર, કોલોરેક્ટલ અને સ્તન કેન્સર સહિત સાત પ્રકારના કેન્સર સાથે કારણભૂત છે. વૈશ્વિક સ્તરે દર વર્ષે કેન્સરના 7 લાખ 40 હજાર નવા કેસો દારૂના સેવન સાથે સંકળાયેલા હોય છે. યુરોપિયન યુનિયનમાં હળવાથી મધ્યમ દારૂનું સેવનથી (દરરોજ 20 MLથી ઓછો દારૂ, જે અઠવાડિયા દીઠ અંદાજે 1.5 લિટરથી ઓછી વાઇન, 3.5 લિટરથી ઓછો બિયર અથવા 450 MLથી ઓછી સ્પિરિટ) 2017માં કેન્સરના લગભગ 23,000 નવા કેસો જવાબદાર હતા. દારૂના હળવાથી મધ્યમ સેવન (દરરોજ 10 MLથી ઓછો દારૂ)ને કારણે થતા કેન્સરના ત્રીજા ભાગના (અંદાજે 8,500 કેસ) હતા. દારૂની પરમિટના નિયમો જ વિચિત્રગુજરાત સરકારના દારૂની પરમિટ આપવા માટેના ક્રાઈટેરિયા પણ ઘણા જ વિચિત્ર અને એકબીજા નિયમોનો છેદ ઉડાવે છે. જેમ કે, દારુ પીવાથી ઉંઘ આવી જાય કે અન્ય બીમારી દૂર થઈ જાય એવા કારણોથી પરમિટ આપવામાં આવે છે. પણ વાસ્તવિકતા એ છે કે દારુ પીવાથી આ પ્રકારની બીમારી દૂર થઈ જાય છે અથવા તો તેમાં રાહત મળી જાય છે એવી કોઈ શોધ મેડિકલ સાયન્સમાં થઈ નથી. એનાથી ઉલ્ટુ, દારુની બોટલો પર પણ દારુ પીવાથી તબીયતને નુકસાન થઈ શકે છે એવી ચેતવણી પણ લખેલી હોય છે. આટલું જ નહીં, અરજદારની વાર્ષિક આવક 6 લાખ સુધીની હોવી જોઈએ. કોઈ અરજદારને અનિંદ્રા કે આવી જ કોઈ અન્ય સમસ્યા છે પણ તેની આવક 6 લાખથી ઓછી હોય તો પરમિટ મળી શકતી નથી. ગુજરાતમાં જે પણ કાયદાઓ છે તે તમામ શહેરો-ગામડાઓમાં એક સરખા જ લાગુ થાય એ વ્યવહારુ બાબત છે. પણ દારુ પીવાની પરમિટ લેવાના કાયદામાં કેટલાય શહેરોમાં તફાવત જોવા મળે છે. જેમકે પરમિટ માટેની જે સત્તાવાર ફી ભરવાની થાય છે તે રકમ અલગ-અલગ શહેરોમાં એકસરખી નથી. અમદાવાદમાં 20 હજાર રૂપિયા ભરવા પડે છે તો અન્ય શહેરોમાં આ રકમ ઘણી ઓછી થઈ જાય છે. ફીની રકમમાં આટલો તફાવત કેમ રાખવામાં આવે છે? તેની પાછળનું લોજીક શું? અને કેવું છે? તેનો જવાબ સિનિયર અધિકારીઓ પાસે પણ નથી. સરકારનું મેડિકલ બોર્ડ અને ડૉક્ટરોના નિયમો જ એકબીજાનો છેડ ઉડાવી રહ્યા છે. જેમ કે, કોઈપણ ખાનગી ફિઝિશિયન એવી વ્યક્તિને મેડિકલનું સર્ટિફિકેટ આપે છે કે જેમને ઉંઘ ન આવતી હોય, વધુ બ્લડપ્રેશર રહેતું હોય, ખૂબ જ તણાવ હોય અથવા તો હૃદય સંબંધિત બીમારી હોય. આ સર્ટિફિકેટ મળ્યાના થોડા દિવસમાં જ અન્ય એક ડૉક્ટર આપે કે આ વ્યક્તિ ફિઝિકલી ફીટ છે, તેમની માનસિક સ્થિતિ પણ સારી છે, તેમજ તે હિંસા કરે એમ લાગતું નથી, ઉપરાંત તેને કોઈ પણ પ્રકારના ડ્રગ્સનું કે તે સંબંધિત કેફી દ્રવ્યોનું કોઈ જ વ્યસન નથી. આમ, એક તરફ મેડિકલ ક્ષેત્રની વૈશ્વિક સ્તરની સંસ્થાઓનું માનવું છે કે દારૂથી બીમારી દૂર ન થાય, ઉલટાનું એ શરીરને બીમારીનું ઘર બનાવે છે. છતાં ગુજરાતમાં હેલ્થ પરમિટના નામે દાયકાઓથી દારૂ પીવાની છૂટ અપાઈ રહી છે.
વર્લ્ડ ઓટિઝમ ડે:‘બાળક માગે તે આપવું, કંઇ અડવા ન દેવું, રમવા ન મોકલવું’ ઓટિઝમ થવાનું કારણ
આજે વર્લ્ડ ઓટિઝમ દિવસ છે. જાગૃતિ માટે આ દિવસ ઉજવાય છે. જો કે શહેરમાં ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર ધરાવતાં બાળકોની સંખ્યા વધી છે. કોરોના બાદ આ વધારો થયો છે. એક અંદાજ મુજબ શહેર આસપાસમાં 3500થી વધુ બાળકોને ઓટિઝમ છે. ઓટિઝમ રોગ નથી, મગજના વિકાસની સ્થિતિ છે. જેનું નિદાન બાળકના જન્મના 18 મહિનાથી 3 વર્ષ વચ્ચે થાય છે. ઓટિઝમ વિશે પીડિયાટ્રિક થેરાપિસ્ટ ડૉ.પ્રાપ્તી પંડ્યાએ જણાવ્યું કે, માતા-પિતા બાળકોની વધારે પડતી કાળજી લે તે ઓટિઝમનું કારણ છે. બાળક બોલે તે પહેલાં તેની સામે વસ્તુ મૂકી દેવાય, બહાર રમવા ન મોકલાય તો બીજાં બાળકોના સંપર્કમાં નથી આવતાં. બાળકને કંઇ અડવા દેતાં નથી જેથી સેન્સરીની તકલીફ થાય છે. નોકરીયાત માતા-પિતાના બાળક હોય તો કેરટેકર સાથે બાળક રહેતાં એકલતા અનુભવે છે. બાળક શાળાએ જતાં અન્યો સાથે ભળતો નથી. જ્યારે ડૉ.જાનવી શાહે કહ્યુ કે, દોઢ વર્ષે ઓટિઝમનાં લક્ષણો જણાય છે. માતા-પિતા ભયથી બાળકને લોકોથી દૂર કરે છે પરંતુ તેમાં તે જ ભયમાં જીવવા લાગે છે. ઓટિઝમનાં લક્ષણો લાંબા સમય બાદ બાળક થયું હોવાથી પરિવાર તેને વધુ પડતો સુરક્ષિત રાખતોગોત્રીમાં રહેતા સંયુક્ત કુટુંબમાં લાંબા સમય બાદ બાળકનો જન્મ થયો હતો. જેને કારણે પરિવાર તેને હંમેશાં ઘરમાં જ રાખતો, જેનાથી તે બીમાર ન પડે અને તેને જમીન પર પણ નહોતાં મૂકતાં. જ્યારે 1 વર્ષ બાદ બાળકને ભીડમાં લઈ જવામાં આવ્યું ત્યારે તે સતત રડતું હોવાથી તેને પીડિયાટ્રિક પાસે લઈ જવામાં આવતાં જાણ થઈ હતી કે, બાળકને સેન્સરી ઓટિઝમ છે. જે બાદ તેની થેરાપી શરૂ કરવામાં આવી હતી. બાળકને આખી બાંયનાં કપડાં પહેરાવે તો ચીડાતો હતો, થેરાપી બાદ સ્વસ્થ થયોહરણી વિસ્તારમાં રહેતું દંપતીએ નોકરી કરતું હતું અને બાળકને તેનાં દાદી સાચવતાં હતાં. નાનપણથી જ તેનાં દાદી તેને ચડ્ડી અને બાંય વગરનાં કપડાં પહેરાવતાં હતાં. જ્યારે બાળકે બાંયવાળાં કપડાં પહેરાવવાનું શરૂ કર્યું તો બાળકનો સ્વભાવ ચીડિયો થઈ ગયો હતો. જે બાદ તબીબ પાસે લઈ જતાં તેને થેરાપિસ્ટ પાસે લઈ જવામાં આવ્યો હતો. થેરાપીમાં ધીરે-ધીરે તેને કપડાં પહેરાવવાનું શરૂ કરતાં થોડા સમયમાં જ તે આખી બાંયનાં કપડાં પહેરવા લાગ્યો હતો.
પંગુની ઉતરમની ઉજવણી કરાઈ:તમિલ સમાજે પંગુની ઉત્તિરમ પર્વે ભગવાન કાર્તિકેયના લગ્ન યોજ્યા
વડોદરામાં તમિલ સમાજ દ્વારા મંગળવારે પંગુની ઉત્તિરમ પર્વની ઉજવણી કરાઈ હતી. મંગળવારે 56મી પંગુની ઉત્તિરમ કાવડ યાત્રાનું આયોજન ભક્તિ, ઉત્સાહ અને સાંસ્કૃતિક ભવ્યતા સાથે કરવામાં આવ્યું હતું, જેમાં 2 હજારથી વધુ ભક્તો જોડાયા હતા. મંગળવારે સાંજે ભગવાન કાર્તિકેયના લગ્નનું પણ આયોજન કરાયું હતું. શ્રી જય અંબે કાર્તિક સ્વામી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 55 વર્ષથી આ યાત્રાનું આયોજન કરાય છે. આ પ્રસંગે નાદસ્વરમ અને ચેંડા મેલમ (દક્ષિણ ભારત અને કેરળના પરંપરાગત વાદ્યો)ની મધુર ધૂન વચ્ચે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા સવારે 6:30 વાગ્યે સુરસાગર તળાવથી શરૂ થઈને સ્ટેશન રોડ પર આવેલા શ્રી જય અંબે કાર્તિક સ્વામી મંદિર સુધી પહોંચી હતી. મંદિરમાં ભગવાનનો દૂધથી અભિષેક કરાયો હતો. મહારાણી લક્ષ્મી સાથે તમિલ લોકો વડોદરા આવ્યા હતાવડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા લગભગ 100 વર્ષ પહેલા રેલવે સ્ટેશન પાસે તમિલ સમાજને અપાયેલી જમીન પર સ્થાપિત શ્રી જય અંબે કાર્તિક સ્વામી મંદિર આજે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના પ્રથમ પત્ની લક્ષ્મીબાઈ હતા. તેઓ દક્ષિણ ભારતના તાંજોર વિસ્તારમાં ઉછર્યા હતા. તેમના લગ્ન સમયે તેમની સાથે ઘણા તમિલ લોકોને વડોદરા લઈને આવ્યા હતા. જે બાદ વડોદરામાં તમિલ લોકો સ્થાયી થયા હતા.
વિવાદ:કોર્ટના નિર્ણય વિરુદ્ધ બીસીએની એપેક્ષ બેઠક બોલાવાયાનો આક્ષેપ
બીસીએની ચૂંટણીમાં 4 ઉમેદવારને હાઈકોર્ટે ગેરલાયક ઠેરવ્યા હતા, જે મામલો પેન્ડિંગ છે. દરમિયાન હાલના સેક્રેટરીએ એપેક્ષ સભ્યોને મિટિંગ માટે બોલાવતાં વિવાદ થયો હતો. રોયલ-સત્યમેવ જયતે ગ્રૂપના સભ્યોએ કોર્ટના નિર્ણય વિરુદ્ધ અને ખોટી રીતે મિટિંગ બોલાવ્યાના આક્ષેપ કર્યા હતા. કોર્ટના ઓર્ડરમાં ઉલ્લેખ હતો કે, નવી ઓફિસ બેરરની બોડી ન બને ત્યાં સુધી હાલની એપેક્ષ બોડી ફક્ત કેરટેકર તરીકે કામ કરશે. જોકે એપેક્ષ સભ્યોને ઈ-મેલ કરી 3 એપ્રિલે સાંજે 4 વાગે મિટિંગ માટે બોલાવાયા છે. જોકે તેમાં કોઈ એજન્ડા જણાવ્યો નથી. જ્યારે હાલ જે એપેક્ષ બોડીમાં છે અને ચૂંટણી લડી ચૂક્યા છે, તેમને આમંત્રણ અપાયું નહોતું. બીજી બાજુ રોયલ-સત્યમેવ જયતે ગ્રૂપે કહ્યું કે, એપેક્ષની મિટિંગ બોલાવવાની જરૂર જ નથી. આ કોર્ટની અવગણના છે. બીસીએના અન્ય સભ્યોએ કહ્યું કે, ક્રિકેટિંગ માટે મળી રહ્યા છીએ. છેલ્લી એપેક્ષ મિટિંગ 2 જાન્યુઆરીએ મળી હતી. લાંબા સમયથી મિટિંગ રખાઈ નહોતી, કોર્ટના હુકમ અને નિયમ મુજબ જ કામ કરીશુંરોજિંદા ખર્ચ મંજૂર કરવાના છે. એજન્ડા નક્કી કરી આગળની મિટિંગ થશે. કોર્ટના હુકમ-નિયમ મુજબ કામ કરીશું.> અજિત લેલે, સેક્રેટરી, બીસીએ એપેક્ષની મિટિંગ બોલાવવી એ ખોટું છે,અમારો વિરોધ છેકોર્ટના નિર્ણય વિરુદ્ધ એપેક્ષની મિટિંગ બોલાવી છે. અમે તેના વિરોધમાં છીએ. આ તદ્દન ખોટું છે. > ડૉ.દર્શન બેંકર, પ્રમુખ પદના ઉમેદવાર, બીસીએ
આગામી દિવાળી અગાઉ વડોદરાથી દીવ એક કલાકમાં કે દ્વારકાધીશ મંદિરે બે કલાકમાં પહોંચી જવાય કે કચ્છના રણોત્સવમાં 3 કલાકમાં હાજરી આપી શકાય તે કલ્પના સાકાર બને તેવી પૂરેપૂરી શક્યતા છે. કારણ કે વડોદરા એરપોર્ટથી આ વર્ષે ઓક્ટોબરમાં એર ટેક્સીની ફ્લાઇટ શરૂ થવાની છે. ઉડાન સ્કીમ અંતર્ગત વિમાની ઓપરેટર કંપનીને મંજૂરી અપાઇ છે. હવે કેટલીક ઔપચારિકતા બાકી છે. આ સેવા અંતર્ગત વિમાનમાં 8 મુસાફરો હવાઇ સફર કરી શકશે. એટલું જ નહીં ટિકિટના દર આકર્ષક રખાશે. આ સેવા શરૂ કરાતાં સૌરાષ્ટ્ર અને વડોદરાના ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેનને રોકાણ કરવા માટે અનુકૂળતા ઊભી થશે. ઉડાન (ઊડે દેશ કા આમ નાગરિક) અંતર્ગત સરકારે પ્રાદેશિક કનેક્ટિવિટી વધારવા પર ભાર મૂક્યો છે. જેમાં સરકાર વાયાબિલિટી ગેપ ફંડિંગ આપશે એટલે વિમાની ભાડું સામાન્ય નાગરિકને પણ પરવડશે. ઉલ્લેખનીય છે કે, અત્યારે અમદાવાદ, સુરતથી દીવની ફ્લાઇટ છે, પણ વડોદરાથી પણ સુવિધા શરૂ થતાં શહેરના પ્રવાસન, બિઝનેસ, ઉદ્યોગો અને મેડિકલ ટુરિઝમને વેગ મળશે. ઉડાન કાફે શરૂ કરવા પણ મંજૂરી મગાઈ છેવડોદરાથી ભૂજ, દીવ અને પોરબંદર માટે 8 સીટર વિમાનોની મંજૂરી અપાઇ છે. જે મળતાં જ સૌરાષ્ટ્ર-ક્ચ્છ અને વડોદરા વચ્ચે હવાઇ વહેવાર શરૂ થશે. ઉપરાંત ઉડાન કાફે માટે પણ મંજૂરી મગાઈ છે. એ મળે તો એરપોર્ટના અંદરના ભાગે રૂા.10માં ચા, રૂા.20માં સમોસા મળી શકશે. > એમ.એસ.આઇ દાઉદ, એરપોર્ટ ડાયરેક્ટર, વડોદરા કસ્ટમર સરવેમાં વડોદરાને બીજા ક્રમ માટે એવોર્ડ મળ્યોદેશભરનાં એરપોર્ટમાં ગ્રાહકોને અપાતી સુવિધામાં વડોદરા એરપોર્ટને દેશમાં (કેટેગરી-2)ના એરપોર્ટમાં બીજું સ્થાન મળ્યું હતું. જેનો ઇનામ વિતરણ સમારોહ નવી દિલ્હીમાં 31 માર્ચે યોજાયો હતો. જેમાં વડોદરાના એરપોર્ટ ડાયરેક્ટર એમએસઆઇ દાઉદને એએઆઇના ચેરમેને એવોર્ડ આપ્યો હતો. જ્યારે મંગળવારે સેવા દિનની ઉજવણી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના એએઆઇ ડે અંતર્ગત કરાઈ હતી. જેમાં બીએપીએસ શાસ્ત્રી મહારાજ હોસ્પિટલ દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેનું ઉદઘાટન કાર્યકારી એરપોર્ટ ડાયરેક્ટર આર.ડી.સેન્ડ્રે દ્વારા કરાયું હતું. ભૂજ દીવ પોરબંદર
જામનગર-દેવભૂમિ સહિત રાજયમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાની ચુંટણીની જાહેરાત થઇ ચુકી છે.જે મુજબ 26મી એપ્રિલના રોજ મતદાન બાદ 28મી એપ્રિલના રોજ મત ગણતરી હાથ ધરાશે. આ વખતી ચૂંટણીમાં સૌથી મહત્વની બાબત એ છેકે,ચુંટણીની જાહેરાત માંડી પરીણામ જાહેર થવા સુધી માત્ર 25 દિવસનો સમયગાળો મળે છે.જે ગત વખતની ચુંટણી કરતા 11 દિવસનો ઓછો ગાળો છે. મળતી વિગત અનુસાર આ વખતે જે સંસ્થામાં ચુંટણી યોજાઇ રહી છે. તેમાં છેલ્લે 2021ના વર્ષમાં ચુંટણી યોજાઇ હતી.જે તે વખતે 23 જાન્યુઆરી 2021ના રોજ ચુંટણીની જાહેરાત થઇ હતી અને 28 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાયુ હતુ.મતલબ બંને વચ્ચે 36 દિવસનો સમયગાળો હતો. જયારે આ વખતે 1લી એપ્રિલના રોજ ચુંટણીની જાહેરાત થઇ છે અને 26 એપ્રિલના રોજ મતદાન યોજાવાનુ છે.આમ માત્ર 25 દિવસ જ મળી રહયા છે.અથાર્ત ઉમેદવાર પસંદગી, ફોર્મ ભરવા, પ્રચાર-પ્રસાર અને અન્ય તૈયારી માટે માત્ર 25 દિવસનો સમયગાળો મળી રહયો છે. રાજય ચુંટણી પંચ દ્વારા જામ્યુકોના 16 વોર્ડની 64 બેઠક માટે સામાન્ય ચુંટણીની જાહેરાત કરી દેવાઇ છે જેમાં તા.26મી એપ્રિલના રોજ મતદાન યોજાશે.ચુંટણીની જાહેરાત સાથે આચારસંહિતા અમલી બની છે.જે સાથે ચુંટણી સંબંધિત પ્રક્રિયાનો પણ પ્રારંભ કરી દેવાયો છે.રાજકીય પક્ષો દ્વારા પણ પુરજોશમાં કવાયત આદરી દેવાઇ છે. કોંગ્રેસ દ્વારા અગાઉ સેન્સ લેવાઇ હતી.જયારે આપ દ્વારા જુદા જુદા વોર્ડ માટે 19 ઉમેદવારોની પસંદગી જાહેર કરી દેવાઇ છે.ભાજપ દ્વારા ઉમેદવારી ફોર્મની પ્રક્રિયા બાદ ગુરૂવારે સેન્સ લેવાશે. મનપાની ચુંટણી માટે મતદારોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. ચુંટણી માટે પ્રાથમિક મતદાર યાદી જાહેર કરાઇ હતી.જેમાં જુદા જુદા 16 વોર્ડમાં 23મી માર્ચની સ્થિતિએ 4,42,841 મતદાર નોંધાયા હતા 2021ની ચુંટણીમા઼ મતદારોની સંખ્યા 4,88,996 હતી. જામ્યુકોમાં ત્રણ દશકાથી ભાજપ સત્તાનશીન,ચાલુ વર્ષે ત્રિપાંખીયો જંગ જામ્યુકોમાં ગત ટર્મમાં 64 પૈકી 50 બેઠક સાથે ભાજપને સંપૂર્ણ બહુમતિ મળી હતી.જયારે કોંગ્રેસને 11 અને બસપાને ત્રણ બેઠક મળી હતી.જામનગર શહેરમાં લગભગ 1995થી ભાજપને બહુમતિ મળતી આવે છે.આમ, સતત છ ટર્મથી ભાજપનુ એકહથ્થુ(એક અપવાદ) સિવાય શાસન રહયુ છે.આગામી ચુંટણી માટે પણ ભાજપ દ્વારા કવાયત શરૂ કરાઇ છે.જોકે, કોંગ્રેસ દ્વારા અગાઉ સેન્સ પ્રક્રિયા બાદ આમ આદમી પાર્ટી દ્વારા પણ જુદા જુદા વોર્ડના દોઢ ડઝન ઉમેદવારના નામો પણ જાહેર કરી દેવાયા છે.મનપામાં એન્ટી ઇન્કમબન્સી સહિત ભ્રષ્ટાચાર-કૌંભાડોના વિપક્ષના છેલ્લા કેટલાક સમયથી અવિરત આક્ષેપો વચ્ચે ભાજપા માટે સરળતાથી જનાદેશ આદેશ મેળવવો અધરો બની રહેશે એવુ રાજિકય પંડિતો માની રહયા છે..જેમાં નવા સિમાંકન સહિતની બાબતો પણ અસરકર્તા રહેશે એમ મનાય છે.ખાસ કરી વિપક્ષના પરંપરાગત વોર્ડના ગઢમા ગાબડુ પાડવુ અધરૂ ગણાશે. જોકે, તમામ વોર્ડના ઉમેદવારો જાહેર થયા બાદ જ ચિત્ર મહદઅંશે સ્પષ્ટ થશે. મનપા માટે ભાજપમાં દાવેદારોનો રાફડો, 1550થી વધુ ફોર્મ ભરાયા શહેરના 16 વોર્ડની 64 બેઠક માટે યોજાનારી ચુંટણીને અનુલક્ષી ભાજપ દ્વારા બુધવારે હાથ ધરાયેલી પ્રક્રિયા અનુસાર વિવિધ વોર્ડ માટે કાર્યાલય ખાતેથી ઉમેદવારી ફોર્મનુ વિતરણ શરૂ કરાયુ હતુ.જેમાં મોડી સાંજ સુધીમાં તમામ વોર્ડની 64 બેઠક માટે 1550થી વધુ ઉમેદવારી પત્રો(દાવેદારો) મળ્યા હોવાનુ સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.આમ, સત્તારૂઢ પક્ષના સભ્ય પદ માટે ઉમેદવારો રેકર્ડબ્રેક સંખ્યામાં ઉમટી પડયા હોવાનુ ચિત્ર ઉપસ્યુ છે. જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠક, છ તાલુકા પંચાયતની 112 બેઠક ઉપરાંત સિકકા નગરપાલિકાની 28 બેઠક માટે ચુંટણીની જાહેરાત થઇ છે.જિ.પં.ની ચુંટણીના અનામત રોટેશનમાં 50 ટકા સ્ત્રી અનામત જાહેર થયુ છે.જેના કારણે અમુક મોટા માથા જે તે બેઠક પર ચુંટણી નહી લડી શકે.જેના પગલે પરીવારના મહિલા સદસ્યોને મેદાને ઉતારવા સાથે જરૂર પડે બેઠક બદલવા માટે કવાયત આદરી દિઘી છે.જિ.પં.ની ગત ટર્મના અમુક પદાધિકારીઓ પર બેઠક બદલવા માટે મજબુર બન્યાનુ ચિત્ર ઉપસ્યુ છે. કઇ કઇ સંસ્થામાં ચૂંટણી... જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની 64 બેઠકો. { જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકો. { સિકકા નગરપાલિકાના સાત વોર્ડની 28 બેઠકો. { જામનગર તા.પ.- 26, ધ્રોલ-જોડિયા તા.પં. 16-16, કાલાવડ, લાલપુર અને જામજોધપુર તા.પં. માં 18-18 બેઠકો.
ધર્મોત્સવ:છોટીકાશી જામનગરમાં તામિલ લોકો દ્વારા કાર્તિક ભગવાનની પંગુલ ઉજવણી અંતર્ગત શોભાયાત્રા
છોટીકાશી તરીકે ઓળખાતા જામનગરમાં દેશના તમામ રાજ્યના તહેવારો ધર્મભાવ સાથે ઉજવવામાં આવે છે. ત્યારે ભગવાન અયપ્પા સ્વામીની જયંતી નિમિતે દક્ષિણ ભારતીય સમુદાય અને સ્થાનિક શ્રધ્ધાળુઓ દ્વારા અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. તામિલ લોકો બુધવારના સવારમાં પીળા વસ્ત્રો પરિધાન કરીને કાર્તિક ભગવાનની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. જેમાં શહેરના પંચેશ્વર ટાવરથી લઈને પદયાત્રા જુના રેલ્વે સ્ટેશન પાસે આવેલા કાર્તિક સ્વામીના મંદિરે યાત્રા પુર્ણ થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં તામિલ લોકો ઉપરાંત સ્થાનિક શ્રધ્ધાળુઓ પણ જોડાયા હતા. આ યાત્રામાં કાર્તિક સ્વામીની પાલખી પણ હોય અને તામિલ લોકોએ પોતાની ભાષામાં જય જય કારા તેમજ ભજન-કીર્તન સાથે કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયા તેમાં તામિલ લોકો પોતાની માનતાઓ પણ ઉતારતા હોય છે, જેમાં ગાલમાંથી સળીયા તેમજ જીભમાં સોય સહિત રાખીને યાત્રામાં કાર્તિક સ્વામીના મંદિર સુધી પહોંચે છે. પરંતુ આ વર્ષે આવા મનતવાળા ઓછા લોકો હતાં. પરંતુ અન્ય શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. તો મહિલાઓ માથે કળશ ઉપાડીને આ યાત્રામાં જોડાઈ હતી. આ યાત્રા કાર્તિક સ્વામીના મંદિરે પહોંચી ત્યાં સાંજના મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં તામિલ લોકોએ લાભ લીધો હતો. જેમાં શહેર ઉપરાંત ખાનગી કંપનીઓમાં નોકરીઓ કરતા પણ અમુક તામિલ લોકો આ યાત્રામાં જોડાઈને ધન્યતા અનુભવી હતી.
ફરિયાદ:જામનગરમાં પત્નીને પુત્રી સાથે મૂકી ત્રાસ આપતા પતિ-સાસુ
જામનગર શહેરના એક પરિણીતાને પુત્રી સાથે એકલા મૂકી દઈ પતિ જૂનાગઢ જિલ્લામાં રહેતા માતા સાથે રહેવા ચાલ્યા ગયા હતા, જે પછી પરિણીતાને પતિ તથા સાસુ અવારનવાર કોલ કરી ચાલચલગત વિશે ગાળો ભાંડી ત્રાસ આપતા હોવાથી તેણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. શહેરના ઢીંચડા રોડ પર સેનાનગર નજીક ગ્રીન પાર્કમાં માધુરીબેન બાલસ (ઉ.વ.24) નામની યુવતિના હસમુખભાઈ અરશીભાઈ બાલસ નામના યુવાન સાથે લગ્ન થયા હતા. લગ્ન થયા પછી આ દંપતીને પુત્રીની પ્રાપ્તિ થઈ હતી. તે દરમિયાન સાતેક મહિના પહેલાં હસમુખભાઈએ પત્નીને મારઝૂડ કરી હતી અને પત્ની તથા પુત્રીને મૂકી આ યુવાન જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકા વડાળા (ઘેડ) ગામમાં રહેતા માતા ધીરીબેન અરશીભાઈ સાથે રહેવા ચાલ્યા ગયા હતા. ત્યારપછી એકલા રહેતા માધુરીબેનને અવારનવાર મોબાઈલ પર કોલ કરી ચાલચલગત અંગે ગાળો ભાંડી હસમુખભાઈ તથા સાસુ ધીરીબેને ત્રાસ આપતા આ પરિણીતાએ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે પતિ અને સાસુની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે. આ બનાવના પગલે જામનગર શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે.
ફરિયાદ:દડિયામાં ઈંટના ધંધાર્થી સાથે 75 હજારનું ચીટીંગ
જામનગર તાલુકાના દડિયામાં ઈંટનો ભઠ્ઠો ચલાવતા આસામીને કોલસી આપવાનો વાયદો કરીને સુરેન્દ્રનગરના ચાંદળીયા ગામના શખ્સે રૂ।.75 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈને ત્રણ મહિનાથી કોલસો કે પૈસા પરત ન આપીની છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. શહેરના રણજીત સાગર રોડ પર પટેલ પાર્કમાં રહેતા અને ઈંટનો ભઠ્ઠો ચલાવતા સુનિલભાઈ નાનજીભાઈ ચાવડા નામના પ્રૌઢને ઈંટના ભઠ્ઠામાં કોલસીની જરૂર પડતી હોય છે, જેથી તેઓ અવાર-નવાર કોલસીની ગાડી મંગાવતા હોય છે. તેઓને સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ચાંદળીયા ગામના રામ ભરવાડ સાથે સંપર્ક થયો હતો. બંને વચ્ચે વાતચીત થયા પછી સુનિલભાઈએ ત્રીસેક ટન જેટલો ઓપન કટીંગનો કોલસો પોતાના ધંધાના કામે જોઈતો હોવાની વાત કરી હતી. રામ ભરવાડે સસ્તામાં કોલસો અપાવી દેશે તેવી વાત કરી હતી. તે પછી ગઈ તા.10 ડિસેમ્બરની રાત્રે દડીયા ગામમાં પોતાના ઈંટના ભઠ્ઠે હાજર સુનિલભાઈને રૂ।.4300ના ભાવે એક ટન કોલસો આપવાનું કહી રૂ।.75 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરી આપવા ફોન કર્યો હતો. જે બાદ આરોપી રામ ભરવાડે કોલસો ન મોકલાવી અને પૈસા પણ પરત ન આપીને છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
દુર્ઘટના:હેબતપુર રોડ પર બે ટુવ્હીલર અથડાયાં, યુવકનું મોત, 1 ઈજાગ્રસ્ત
હેબતપુર રોડ વૃંદાવન બંગ્લોઝ કટ પાસે બે ટુવ્હિલર વચ્ચે મંગળવારે મોડી રાત્રે અકસ્માત થયો હતો. જેના કારણે બન્ને ટુવ્હીલર ચાલકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 20 વર્ષીય ટુવ્હીલર ચાલકનું મોત થયું હતું. આ મામલે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂકરી છે. ભાડજ ગામમાં 26 વર્ષીય રાહુલ લામકા તેના પરિવાર સાથે રહે છે અને ઓનલાઈન ડિલીવરી બોય તરીકેનું કામ કરે છે. રાહુલને હેબતપુર ખાતેની એક ડિલીવરી મળી હોવાથી તેનો નાનો ભાઈ દિનેશ લામકા (ઉ.વ.20) ટુવ્હીલર લઈને ડિલીવરી કરવા માટે નિકળ્યો હતો. હેબતપુર રોડ વૃંદાવન બંગ્લોઝ કટ પાસે ઓવરસ્પીડમાં આવેલા એક ટુવ્હીલર ચાલકે ટક્કર મારતા બન્ને ટુવ્હીલર ચાલકો પટકાયા હતા. બંનેને સારવાર માટે ખસેડાયા હાત જ્યાં સારવાર દરમિયાન દિનેશ લામકાને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. અકસ્માત કરનાર ટુવ્હિલર ચાલક સુરેશ રાતડિયા (ઉ.વ.27, રહે. સોલા ગામ)ની સારવાર ચાલી રહી છે.
હનુમાન જન્મોત્સવ:રાંચરડાના મંદિરે સુંદરકાંડ પાઠ, યુનિ. પાસેના કષ્ટભંજન મંદિરે દિવ્યાંગજનો ભજનો ગાશે
ગુરુવારે રામભક્ત શ્રી હનુમાનજીની જન્મજયંતી નિમિત્તે શહેરનાં હનુમાન મંદિરોમાં મારુતિ યજ્ઞ, સુંદરકાંડ પાઠ, રામધૂન સહિતના કાર્યક્રમો યોજાશે. બુધવારે કેમ્પ હનુમાન મંદિરેથી શોભાયાત્રા નીકળી હતી. તેમાં પરંપરાગત સજાવટ કરેલા રથ સાથે 11 ટેબ્લો રજૂ કરાયા હતા. આ વર્ષે ‘ઓપરેશન સિંદૂર’ના ટેબ્લોએ સૌનું આકર્ષણ જમાવ્યું હતું. યાત્રામાં ભક્તોએ ‘જય શ્રીરામ અને જય હનુમાન’ના નારા લગાવી ભક્તિમય માહોલ ઊભો કર્યો હતો. યાત્રાના દર્શનાર્થે લોકોની ભારે ભીડ ઊમટી હતી. આજે ક્યાં શું? કેમ્પ હનુમાન મંદિર સવારે 7 વાગે વિશેષ આરતી 8 કલાકે સુંદરકાંડ પાઠ 12 કલાકે અન્નકૂટ દર્શન 1 કલાકે ભંડારો રાંચરડાના સૂતા હનુમાન સવારે વિશેષ આરતી સાંજે 6 વાગે સુંદરકાંડના પાઠ સાંજે 8 વાગે વિશેષ આરતી કષ્ટભંજન મંદિર યુનિવર્સિટી સવારે 7.30થી 1 વાગ્યા સુધી હવન બપોરે 12 વાગે હવન સાંજે દિવ્યાંગ કલાકારો દ્વારા ભજનસંધ્યા નાગરવેલ હનુમાન મંદિર સવારે 5 વાગે વિશેષ આરતી કરાશે 12 વાગે હવન યોજાશે દિવસ દરમિયાન આવતા ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા સાંજે મહાઆરતી ડભોડા હનુમાન મંદિર સવારે 7 વાગે હવન-પૂજા 10 વાગે આરતી 12 વાગે ભંડારો અંજની માતા મંદિર સાંજે મહાઆરતી રાત્રે સુંદરકાંડના પાઠ માતા અંજની સાથે બિરાજિત હનુમાનજીનું મંદિરથલતેજ ટેકરા પાસે દૂરદર્શન ચાર રસ્તા પાસેના 100 વર્ષ પ્રાચીન અંજની માતા-હનુમાન મંદિર ખાતે ગુરુવારે હનુમાન જન્મોત્સવ ઉજવાશે. મંદિરની ખાસિયત એ છે કે અહીં હનુમાનજી સાથે તેમનાં માતા અંજનીજીની પ્રતિમા પણ છે, આથી આ સ્થળ રાજ્યનાં દુર્લભ મંદિરોમાંનું એક ગણાય છે. મંદિર દ્વારા નિયમિત પૂજા-અર્ચના સાથે સેવાકીય પ્રવૃત્તિ પણ કરાય છે. મહંત વિજયદાસજી મહારાજની આગેવાની હેઠળ દર વર્ષે ઉજવાતા જન્મોત્સવમાં આ વર્ષે પણ વહેલી સવારથી માંડી રાત સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે. હનુમાન જયંતીના દિવસે સવારે અભિષેકથી શરૂઆત થઇ, મંગળા આરતી, મારુતિ હવન, ધ્વજારોહણ અને શ્રીફળ હોમના કાર્યક્રમ યોજાશે. સાંજે સંધ્યા આરતી અને મહાપ્રસાદ બાદ ભક્તિમય વાતાવરણમાં સુપ્રસિદ્ધ લોક કલાકાર રાજભા ગઢવીનો સંતવાણી અને ડાયરો યોજાશે. બોપલમાં જન્મોત્સવનું ભવ્ય આયોજનબોપલના સરકારી ટ્યુબવેલ વિસ્તારમાં ભીડભંજન હનુમાન મંદિરે સવારે 10:30થી 4:30 વાગ્યા સુધી હવન યોજાશે. બપોરે 4:30 વાગ્યે શ્રીફળ પૂજન થશે. સાંજે 6થી રાતના 10 વાગ્યા સુધી સુધી પ્રીતિ ભોજનનું આયોજન કરાયું છે. આયોજકોએ પહોંચ સિવાય દાન ન કરવા સૂચના આપી છે.
GST આવકમાં વધારો:ગુજરાતની માર્ચ મહિનાની GST આવકમાં 18%નો વધારો નોંધાયો
રાજ્ય માટે આર્થિક દૃષ્ટિએ સકારાત્મક સમાચાર સામે આવ્યા છે. માર્ચ 2026 દરમિયાન રાજ્યની GST આવકમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. સત્તાવાર માહિતી મુજબ, માર્ચ 2026માં રાજ્યને GST હેઠળ કુલ રૂ.7,352 કરોડની આવક થઈ છે, જે ગયા વર્ષની સમાન અવધિમાં મળેલ રૂ.6,190 કરોડની સરખામણીએ અંદાજે 18.7 ટકા વધુ છે. આ સમયગાળામાં રાષ્ટ્રીય સ્તરે GST આવકનો વૃદ્ધિ દર માત્ર 8.8 ટકા રહ્યો છે, જ્યારે ગુજરાતે તે કરતાં ઘણી વધારે વૃદ્ધિ નોંધાવી છે. GST સિવાય, રાજ્યને માર્ચ 2026માં વેટ હેઠળ રૂ.2,714 કરોડ, વિજળી શુલ્ક હેઠળ રૂ.1,328 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ રૂ.24 કરોડની આવક થઈ છે. આમ, તમામ મુખ્ય કર સ્ત્રોતો દ્વારા રાજ્યને કુલ રૂ.11,418 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. વાર્ષિક આંકડાઓ પર નજર કરીએ તો નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન રાજ્યને GST હેઠળ કુલ રૂ. 81,410 કરોડની આવક થઈ છે, જે અગાઉના વર્ષ કરતાં 11.1 ટકા વધુ છે. આ સમયગાળામાં પણ રાષ્ટ્રીય વૃદ્ધિ દર 8.3 ટકા રહ્યો છે. આ ઉપરાંત, સમગ્ર વર્ષ દરમિયાન વેટથી રૂ. 32,677 કરોડ, વિજળી શુલ્કથી રૂ.12,493 કરોડ અને વ્યવસાય વેરાથી રૂ.266 કરોડની આવક નોંધાઈ છે. આમ, તમામ સ્ત્રોતો મળી રાજ્યને કુલ રૂ.1,26,846 કરોડની આવક પ્રાપ્ત થઈ છે.
લોકોમાં ભયનો માહોલ:ધારીના ઝર ગામે દરગાહ સામે સાવજે ધામા નાખ્યા
ધારી તાલુકાના ઝર ગામમાંથી સાવજનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં આસ્થાના સ્થળ સુધી વન્યપ્રાણીની હાજરીથી દર્શનાર્થી ઓના ભયનો માહોલ સર્જાયો હતો. ધારીના ઝર ગામ પાસે આવેલા દાતારની દરગાહ સામે જ સિંહ આરામ ફરમાવતો હતો ત્યારે કોઈએ આ દ્રશ્ય પોતાના મોબાઇલમાં કેદ કર્યું હતું. જેમાં સ્પષ્ટ દેખાય છે કે સિંહ થોડો સમય દરગાહ નજીક નિર્ભય રીતે બેસેલો રહ્યો હતો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, અને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આજે ગામના આસ્થા કેન્દ્ર સુધી તેમની હાજરીએ લોકોમાં આશ્ચર્ય સાથે ચિંતા પણ જગાવી છે. આ ઘટના વિસ્તારમાં વધતી જંગલી પ્રાણીઓની ચહલપહલ તરફ પણ ઈશારો કરે છે. વનવિભાગે લોકોને સાવચેતી રાખવા અને સિંહથી સલામત અંતર જાળવવા અપીલ કરી છે. સાથે જ કોઈ પણ પ્રકારની ગભરાટ ન ફેલાવવાની પણ અપીલ કરવામાં આવી છે.
આત્મહત્યાનો પ્રયાસ:ખરાબ વિચારો અને ડરામણા સપનાથી તણાવ અનુભવતી ડુંગરપરડાની યુવતીએ ફિનાઈલ પીધુ
રાજુલા તાલુકાના ડુંગરપરડા ગામે એક યુવતીએ માનસિક તણાવના કારણે ફીનાઇલ પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવતીને તાત્કાલિક સારવાર માટે મહુવા હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. રાજુલાના ડુંગરપરડા ગામે રહેતી માયાબેન લાલજીભાઇ બટુકભાઇ સાંખટ (ઉ.વ.25) ને છેલ્લા લગભગ દોઢ મહિનાથી સતત ખરાબ વિચારો અને ડરામણા સપનાઓ આવતા હતા. જેના કારણે તેઓ સતત ગભરામણ અનુભવી રહી હતી. આ પરિસ્થિતિથી કંટાળી જતાં તેમણે ગઈ કાલે રાત્રે આશરે 9:30 વાગ્યે પોતાના ઘરે બાથરૂમમાં રાખેલી ફીનાઇલની બોટલમાંથી ફીનાઇલ પી લીધું હતું. ફીનાઇલ પી લીધા બાદ તેમને ઉલટી અને ઉબકા થવા લાગતા પરિવારજનો તાત્કાલિક તેમને સારવાર માટે મહુવા સ્થિત ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં હાલ તેઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નગરપાલિકાની બેદરકારી:છેલ્લા દોઢ મહિનાથી ગંદા પાણીનું વિતરણ થતા પાલિકા કચેરીમાં ભારે હોબાળો
બગસરા શહેરના અમરપરા વિસ્તારમાં આવેલ ગંગામૈયા વિસ્તારના રહેવાસીઓ છેલ્લા દોઢ માસથી પાણી પુરવઠાની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અહીં પાણીના નળોમાંથી ગટરમિશ્રિત અને દુર્ગંધયુક્ત પાણી આવતાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે. પીવાના પાણી માટે લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને આરોગ્ય અંગે પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. આ વિસ્તારના સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા દોઢ મહિના કરતા વધુ સમયથી અહીં પીવાના પાણી સાથે ગટરનું પાણી પણ વિતરણ થઈ રહ્યું છે, આ સમસ્યા અંગે ઘણી વખત પાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં યોગ્ય પગલાં લેવાયા નથી. ત્યારે તંત્રની ઉદાસીનતા સામે ગુસ્સે ભરાયેલી મહિલાઓએ આજે પાલિકા કચેરીએ પહોંચી હોબાળો મચાવ્યો હતો, અને તાત્કાલિક સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરી આપવાની માંગ સાથે જ્યાં સુધી સમસ્યાનો કાયમી ઉકેલ ન આવે ત્યાં સુધી વિસ્તારમાં પાણીના ટાંકા મૂકી લોકોને પીવાના પાણીની વ્યવસ્થા કરવા મહિલાઓએ જણાવ્યું હતું. જોકે પાલિકા દ્વારા આ માંગ પણ સ્વીકારવામાં આવી ન હોવાનું મહિલાઓએ જણાવ્યું હતું. જો તાત્કાલિક આ વિસ્તારના લોકો માટે સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી આપી હતી. હાલમાં પાલિકામાં વહીવટદારશાસન ચાલી રહ્યું છે. તે દરમિયાન વહીવટદાર હાજર ન હોવાથી હેડ ક્લાર્ક દ્વારા મહિલાઓને સમજૂતી આપી મામલો શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા શક્ય તેટલી ઝડપથી સમસ્યા ઉકેલવાની ખાતરી આપવામાં આવી છે.
નિર્ણય:આકરી ગરમીના પગલે અમરેલી જિલ્લા પ્રા. શાળાના સમયમાં અડધો કલાકનો ઘટાડો
અમરેલીમાં ઉનાળાની આકરી ગરમીને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લાની પ્રાથમિક શાળાઓના સમયમાં અડધો કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે વિદ્યાર્થીઓને બપોરે 12:30 વાગ્યાના બદલે 12 વાગ્યે રજા આપવામાં આવશે. અમરેલીમાં વધતા તાપમાનને લઈ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની ચિંતા કરતા બાળકોને ભર બપોરે તડકામાં ઘરે પહોંચવામાં મુશ્કેલી પડતી હોવાની બાબતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે એપ્રિલ મહિનાથી પ્રાથમિક શાળાઓનો સમય સવારનો રાખવામાં આવે છે, પરંતુ આ વર્ષે શાળાઓમાંથી છૂટવાનો સમય 12:30 વાગ્યાનો નક્કી કરવામાં આવ્યો હતો. આ બાબતે અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. સંઘના રાજ્ય ખજાનચી મહેન્દ્રભાઈ વિછીયા, જિલ્લા પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા, મહામંત્રી પ્રવીણભાઈ કસવાળા, રસિકભાઈ મહેતા તેમજ વિવિધ તાલુકાના ઘટક સંઘોના પ્રતિનિધિઓએ ગરમીને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓના હિતમાં સમય ઘટાડવાની માંગણી કરી હતી. શિક્ષક સંઘની આ રજૂઆતને ધ્યાને લઈ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે પ્રાથમિક શાળાઓમાં 12:30ના બદલે હવે બપોરે 12 વાગ્યે રજા આપવામાં આવશે.
માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ:અમરેલીના મૃતક વૃદ્ધનું રેડક્રોસ સોસાયટી મારફત દેહદાન કરાયું
માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા અમરેલીમાં વધુ એક દેહદાનનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. મૃત્યુ પછી પણ માનવજાતના કલ્યાણમાં પોતાનો દેહ ઉપયોગી બને તેવા ઉદ્દાત સંકલ્પ સાથે સ્વ. મુકતાબેન ભગવાનજીભાઈ ટાંકનું દેહદાન કરવામાં આવ્યું. અમરેલીના એક સમયના જાણીતા મંડપ સર્વિસ વ્યવસાય સાથે સંકળાયેલા સ્વ. બી.કે. ટાંકના ધર્મપત્ની મુકતાબેનનું અવસાન થયું હતું. જીવિત અવસ્થામાં જ તેમણે અમરેલી રેડક્રોસ સોસાયટી સમક્ષ પોતાના દેહદાનનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમના અવસાન બાદ પરિવારજનોએ તેમની અંતિમ ઈચ્છાને માન આપી અમરેલી રેડક્રોસ સોસાયટીનો સંપર્ક કર્યો હતો. આ સંદર્ભે અમરેલી રેડક્રોસ બ્લડ બેન્કના ઇન્ચાર્જ મધુભાઈ આજુગીયાએ વિવિધ મેડિકલ કોલેજો સાથે સંપર્ક સાધ્યો હતો. ત્યારબાદ આટકોટ મેડિકલ કોલેજને ડેડ બોડીની જરૂરિયાત હોવાથી એમ્બ્યુલન્સ મારફતે સ્વ. મુકતાબેન ભગવાનજીભાઈ ટાંકનો દેહ ત્યાં મોકલી આપવામાં આવ્યો હતો, જેથી તેમનો દેહ તબીબી અભ્યાસ અને સંશોધન કાર્યમાં ઉપયોગી બની શકે. અમરેલી રેડક્રોસ બ્લડ બેન્કના ચેરમેન ડો. ભરત કાનાબારે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી દેહદાન માટે સંકલ્પપત્ર ભરનારાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. સમાજમાં મૃત્યુ પછી પણ પોતાનો દેહ તબીબી શિક્ષણ અને સંશોધન માટે ઉપયોગી બને તેવી ઉન્નત ભાવના વિકસી રહી છે, જે સમાજ માટે ખૂબ જ પ્રેરણાદાયક અને આવકારદાયક બાબત છે.
સાવરકુંડલા જૈન સમાજના મોભી પ્રભુદાસભાઈ સોમચંદ દોશીનું તારીખ 22/03ના રોજ અવસાન થયું હતું તેમના ભાઈ સુરેશભાઈ, પુત્ર રાજેશભાઈ અને સુનિલભાઈ દોશી તથા દોશી પરીવારે સ્વજન સ્વ. પ્રભુદાસભાઈના ઉઠામણામાં જીવદયાના કાર્ય સાથે સ્વજનને ભાવાંજલિ અર્પણ કરવામા આવી હતી. દોશી પરીવારે શ્રદ્ધાજંલી પાઠવનાર તમામ સ્નેહીજનોને શ્રીફળમાં નવરત્ન ખાદ્યસામગ્રી ભરીને કીડિયારૂઓ માટે અર્પણ કરવામાં આવ્યા હતાં. સાવરકુંડલામાં આજના આધુનિક યુગમાં જ્યારે સામાજિક પ્રસંગોમાં દેખાડો વધી રહ્યો છે. ત્યારે સાવરકુંડલાના દોશી પરિવારે સમાજને એક નવી રાહ ચીંધી છે. સ્વ પ્રભુદાસ સોમચંદ દોશી પરિવારમાં રાખવામાં આવેલ ઉઠામણાના પ્રસંગે કોઈ પણ પ્રકારના દેખાડા વગર માત્ર સેવા અને જીવદયાને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. સ્વર્ગસ્થના આત્માની શાંતિ અર્થે આ પરિવારે એક સરાહનીય નિર્ણય લીધો હતો. જેમા માનવતા અને અબોલ જીવો પ્રત્યેની સંવેદના જોવા મળી હતી. નવરત્ન પ્રસાદના નાળિયેર તૈયાર કરવામાં આવ્યા હતા. શ્રીફળમાં કીડીઓ માટે આહાર બની શકે તેવી નવરત્ન સમાન વિભિન્ન ખાદ્યવસ્તુઓ ભરવામાં આવી હતી. અને ઉઠામણામાં પધારેલા તમામ શોકમગ્ન સ્વજનો અને નાગરિકોને એક એક શ્રીફળ અર્પણ કરવામાં આવ્યું હતું. સ્વજનો પોતપોતાના ઘરે કે યોગ્ય સ્થાને આ જીવદયાનું કાર્ય આગળ ધપાવી શકે. સ્વ પ્રભુદાસભાઈના બેસણા પ્રસંગે સાવરકુંડલા કબીર ટેકરી આશ્રમ દ્વારા ચાલતી નિરાધાર, અશકત લોકોં અને જરૂરિયાત મંદોને ટીફીન સેવામાં મિષ્ઠાન ભોજન આપવામાં આવ્યું હતુ. તથા સાવરકુંડલા શીવાજીનગર ગૌશાળા ખાતે રહેલી ગાયોને તંરબૂચ અર્પણ કર્યાં હતા.
100 ટકા વસુલાત:રાજુલા તાલુકાના 4 ગામમાં વીજબીલ બાકીદારો શૂન્ય
રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજબિલની સો ટકા વસુલાત કરી ચાર ગામો એ શૂન્ય બાકીદારીનો મહત્વપૂર્ણ લક્ષ્યાંક હાંસલ કર્યો છે. પીજીવીસીએલના પ્રયાસો, ગ્રામજનના સહયોગ થી ભાક્ષી-1, ભાક્ષી-3, નાના આગરિયા (સમૂહ ખેતી), નેસડી-2 ગામમાં રહેણાંક, ખેતીવાડી તથા ઔદ્યોગિક તમામ વીજ જોડાણોના બિલની સંપૂર્ણ ભરપાઈ થતાં ગામોને ઝીરો લાઇટ બિલનો દરજ્જો મળ્યો છે. રાજુલા તાલુકામાં વીજબિલ ભરપાઈ અંગે જાગૃતિ લાવવા માટે ગામના સરપંચો અને આગેવાનોએ મહત્વપૂર્ણ કામગીરી કરી હતી. જેના પરિણામે આજે સંપૂર્ણ વીજબીલની વસૂલાત PGVCL દ્વારા કરી લેવામાં આવી છે. ભાક્ષી ગામના સરપંચ મંગળુભાઈ ધાખડા, સમૂહખેતી ગામના જીતુભાઈ કસવાળા અને રાજુભાઈ પરસાણા, નેસડી ગામના સરપંચ ગુણવંતભાઈ સાવલિયા તેમજ ભાક્ષી-1 ગામના સુરેશભાઈ વ્યાસ સહિત ગામના આગેવાનો દ્વારા ગ્રામજનોને સમજાવી સમયસર બિલ ભરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેના કારણે આ સફળતા પ્રાપ્ત થઈ શકી છે. સાથેજ પીજીવીસીએલના કર્મચારીઓ એમ.ડી. ખુમાણ, એચ.એમ. સોલંકી, આર.આર. દામોર અને આર.જે. ચૌહાણ સહિતના સ્ટાફે સતત મહેનત કરી હતી. કાર્યપાલક ઇજનેર બી. એમ. પટેલ તથા રાજુલા નાયબ કાર્યપાલક ઇજનેર ના માર્ગદર્શન અને સતત સમજાવટના કારણે આ સફળતા મળી હોવાનું જણાવાયું છે.
સુવિધા:STના નવા 37 એક્સપ્રેસ રૂટ શરૂ થતાં પેસેન્જરને ભાડામાં રૂ.40 સુધી લાભ થશે
અમદાવાદ એસટી ડિવિઝનને નવી ગુર્જરનગરી બસોનો કાફલો મળતા 37 નવા એક્સપ્રેસ રૂટ શરૂ કરાયા છે. જેમાંથી 10 રૂટ પ્રથમવાર સંચાલિત થશે અને 27 રૂટ પર બસોની સંખ્યા વધારાઈ છે. પુશ-બેક સીટો ધરાવતી આ આધુનિક બસોમાં મુસાફરોને કન્ફર્મ સીટની સુવિધા મળશે. ખાનગી લક્ઝરી બસોના રૂ.800થી રૂ.1200ના ભાડા સામે એસટીમાં માત્ર રૂ.400 થી રૂ.600માં મુસાફરી કરી શકાશે, જેનાથી મુસાફરોના ખિસ્સા પરનો બોજ 40 ટકા સુધી ઘટશે. સુરત માટે સવારે 6:15 અને 7:30 કલાકે નવી સેવા શરૂ થતા નોકરિયાત વર્ગને રાહત મળશે. સાથે જ દ્વારકા, જંબુસર અને ધાનેરા જેવા અંતરિયાળ રૂટો પર કનેક્ટિવિટી વધશે. પેસેન્જરો ઓનલાઇન પોર્ટલ પર એડવાન્સ બુકિંગ કરાવી શકશે. ધાર્મિક-શૈક્ષણિક કનેક્ટિવિટીના મુખ્ય રૂટ રૂટ ઉપડશે પહોંચશે ખાસિયત અમદાવાદથી દ્વારકા 20:30 07:15 યાત્રાળુઓ માટે રાત્રિ સેવા ધોળકાથી અંબાજી 06:45 11:45 ઉ. ગુજરાત સાથે કનેક્ટિવિટી દહેગામથી ભુજ 20:00 05:30 કચ્છ માટે નવી એક્સપ્રેસ સેવા વિજયનગરથી આણંદ 12:30 17:50 એજ્યુકેશન હબ સાથે જોડાણ વિરમગામથી સારંગપુર 07:15 11:00 હનુમાનજીના દર્શન ઉત્તમ સુરત માટે સવારે બે નવા રૂટ શરૂ થશે : અમદાવાદથી સુરત માટે સવારે 6.15 અને 7.30 વાગે નવી બસ શરૂ થતાં નોકરિયાત વર્ગને ફાયદો થશે.
2 એપ્રિલે વર્લ્ડ ઓટિઝમ એવરનેસ ડે નિમિત્તે એએમએ ખાતે એક સેમિનારનું આયોજન કરાયું હતું. નિષ્ણાતોનું માનવું છે કે, દર 36માંથી 1 બાળક ઓટિઝમ સાથે જન્મે છે. જે આંકડો કેન્સર કે ડાયાબિટીસ કરતાં પણ વધુ છે, કારણ કે તેમાં બાળકનો સામાજિક વિકાસ પ્રભાવિત થાય છે. ઓટિઝમ કોઈ બૌદ્ધિક મંદતા નહીં પરંતુ મગજના ન્યુરોન્સના વાયરિંગમાં ખામી છે, જેના કારણે બાળક બોલવામાં, પોતાની વાત રજૂ કરવામાં અને આંખોમાં નજર મળાવવામાં પાછળ રહી જાય છે. 18થી 24 મહિનામાં લક્ષણો ઓળખી લેવાય તો 80 ટકા બાળકોમાં યોગ્ય આહાર અને કસરતથી સુધારો શક્ય બને છે, જ્યારે 20 ટકા કેસોમાં જિનેટિક કારણો હોવાથી દવાઓ જરૂરી બને છે. ડૉ. જિગ્નેશ શેઠે કહ્યું કે, શહેરના 100થી વધુ જરૂરિયાતમંદ બાળકો માટે જિનેટિક ટેસ્ટ, થેરાપી અને સારવાર પાછળ દર વર્ષે રૂ. 10 લાખ સુધીની સહાય પૂરી પાડી રહ્યા છે. ઓટિઝમ સ્પેશિયાલિસ્ટ ડો. કેતન પટેલે કહ્યું કે, પશ્ચિમ દેશોની જૂની પદ્ધતિઓ પાછળ દોડવાને બદલે હવે ભારતની પોતાની નવી સારવાર પદ્ધતિ અમલી બનાવવી જરૂરી છે. હોમિયોપેથીથી 90 ટકા સુધી લક્ષ્ણો અટકાવી શકાય છે. ઓટિઝમથી છુટકારો મેળવવા માટેના 5 ઉપાય ડાયેટ કંટ્રોલ : દૂધ અને ઘઉંની વસ્તુઓ બંધ કરી સોયા મિલ્ક, બાજરી અને કઠોળનો ઉપયોગ વધારવો. શારીરિક પ્રવૃત્તિ : દોડવું, સાયકલિંગ, સ્કેટિંગ અને સ્વિમિંગ જેવી પ્રવૃત્તિઓ મગજના વિકાસમાં મદદ કરે છે. સ્પીચ થેરાપી : બાળક બોલવાનું શરૂ કરે એટલે નિષ્ણાતની મદદ લેવી. આઈ-કોન્ટેક્ટ : બાળક સાથે સતત વાતો કરવી અને તેની સાથે નજર મિલાવવાની પ્રેક્ટિસ કરવી. નિષ્ણાતની સલાહ : હોમિયોપેથી સ્પેશિયાલિસ્ટ ડૉ. કેતન પટેલના મતે, હોમિયોપેથીથી જિનેટિક લક્ષણોમાં 90% સુધી રોક લગાવી શકાય છે.
નાનાપોંઢા તાલુકાના કોઠાર હોળી ફળીયા વિસ્તારમાં બુધવારે સવારે અંદાજે 7 વાગ્યે ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતો પર જંગલી ભૂંડે અચાનક હુમલો કર્યો હતો.નાનાપોંઢાના કોઠાર ગામે જંગલી ભુંડે 3 ખેડૂતો પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. ઘાયલોમાં સંજયભાઈ શાંતુભાઈ ગાઈન, પ્રીતેશભાઈ ગણુભાઈ ગાઈન અને ધર્માભાઈ પિલ્યાભાઈ ગાઈનનો સમાવેશ થાય છે. ત્રણેય ખેડૂત રોજિંદા કામકાજ દરમિયાન ખેતરમાં હાજર હતા ત્યારે જંગલી ભૂંડે હુમલો કરતા હડકંપ મચી ગયો હતો. હુમલા બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઘાયલોને પ્રથમ સારવાર માટે નાનાપોંઢા CHC ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે તેમને ધરમપુર સરકારી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. સ્થાનિકોમાં આ ઘટનાને પગલે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો દ્વારા જંગલી પ્રાણીઓના વધતા આતંકને કાબૂમાં લેવા માટે વન વિભાગ પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. સરકાર દ્વારા ઝટકા મશીન મુકવા માટે સબસીડી પણ આપે છે. તે પણ ખેડૂતોએ લેવી જોઇએ.
વલસાડમાં મહાવીર જયંતિની શ્રધ્ધાભેર ઉજવણી માટે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જૈન સમુદાય મોટી સંખ્યામાં ઉમટી પડ્યું હતું.મોટાબજાર ઉપાશ્રય ખાતેથી આચાર્ય ભગવંત મ.સા. તથા શ્રાવક શ્રાવિકાઓ જોડાયા હતા. વલસાડ ખાતે મહાવીર જયંતિના પવિત્ર અવસરે નિકેળેલી શોભાયાત્રા શહેરના માર્ગો પર ફરી વળી હતી.મોટાબજાર જૈન ઉપાશ્રય ખાતેથી નિકળેલી શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં જૈન સમાજના પરિવારજનો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ ભાજપ મંત્રી સોનલબેન સોલંકી,જિલ્લા મહામંત્રી કમલેશ પટેલ, પાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલ, મહિલા કાઉન્સિલર અલકાબેન શાહ હાજર રહ્યા હતા.વિવિધ માર્ગો પર શ્રધ્ધાળુઓ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું. મૂનિ ભગવંતોનું સન્માન પણ કરાયું હતું.જૈન સમાજની મહિલાઓ બાળકો આગેવાનો તથા પરિવારજનો પરંપરાગત વસ્ત્રો પરિધાન કરી શોભાયાત્રાના રૂટ પર સતત જોડાયેલા રહ્યા હતા.

31 C