પાટણ જિલ્લામાં નાગરિકોને એલપીજી રાંધણગેસનો પૂરતો અને નિયમિત જથ્થો મળી રહે તે સુનિશ્ચિત કરવા જિલ્લા પુરવઠા તંત્ર સઘન મોનીટરીંગ કરી રહ્યું છે. આ માટે સરકારના નિર્ણય અનુસાર જિલ્લાની કુલ ૧૯ ગેસ એજન્સીઓ પર મહેસુલ અને પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે, જેથી ગેસ વિતરણ પર સતત દેખરેખ રાખી શકાય. જિલ્લામાં કાર્યરત IOCL, HPCL અને BPCL જેવી ઓઈલ માર્કેટિંગ કંપનીઓની ગેસ એજન્સીઓ પર રાંધણગેસની બોટલો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ગેસ કનેક્શન ધરાવતા ગ્રાહકોને નિયમિતપણે ગેસ બોટલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, જિલ્લામાં રાંધણગેસ બોટલનું અનઅધિકૃત વેચાણ અટકાવવા માટે પણ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા વિશેષ દેખરેખ રાખવામાં આવી રહી છે. ગ્રાહકોની સુવિધા માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ઓનલાઈન વેબસાઈટ, મોબાઈલ એપ્લિકેશન, IVRS, મિસ્ડ કોલ અને વોટ્સએપ જેવા વિવિધ માધ્યમો દ્વારા રાંધણગેસ બોટલ બુકિંગની વ્યવસ્થા પૂરી પાડી છે. બુકિંગ થયેલી ગેસ બોટલની ગ્રાહકોના ઘરે હોમ ડિલિવરી કરવામાં આવશે. જિલ્લા પુરવઠા તંત્રએ ગેસ કનેક્શન ધરાવતા નાગરિકોને ગેસ એજન્સી કે ગોડાઉન પર ભીડ ન કરવા અપીલ કરી છે. તેમને ઓનલાઈન અથવા અન્ય ઉપલબ્ધ માધ્યમો દ્વારા બુકિંગ કરીને હોમ ડિલિવરી સુવિધાનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસકોની પાંચ વર્ષની મુદત પૂર્ણ થતાની સાથે વહીવટી પ્રક્રિયામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ખાસ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતા વિવિધ પ્રોજેક્ટ્સ અને કામોના રાજ્યમાન્ય કરારો (એગ્રીમેન્ટ) પર સહી કરવાની સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની સત્તા હવે વહીવટી અધિકારીઓને સોંપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આ અંગે સત્તાવાર આદેશ જારી કરીને નવી ચૂંટાયેલી બોડી અસ્તિત્વમાં ન આવે ત્યાં સુધીની વચગાળાની વ્યવસ્થા ગોઠવી છે. સામાન્ય રીતે રાજકોટ મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગો દ્વારા અમલી બનાવવામાં આવતા કોન્ટ્રાક્ટ અને એજન્સીઓ સાથેના કરારો માટે એક ચોક્કસ કાનૂની પ્રક્રિયા અનુસરવામાં આવે છે. નિયમાનુસાર ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિયત સ્ટેમ્પ પેપર પર એજન્સીઓ પાસેથી રાજ્યમાન્ય કરારો કરવામાં આવતા હોય છે. જીપીએમસી એક્ટની જોગવાઈઓ મુજબ, કોર્પોરેશન દ્વારા કરવામાં આવતા કરારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની મુદ્રા (સીલ) મારવી અનિવાર્ય છે. આ પ્રક્રિયા દરમિયાન કોર્પોરેશનના પ્રતિનિધિ તરીકે સ્થાયી સમિતિના બે સભ્યોએ સાક્ષી તરીકે સહી કરવી પડે છે, જે આ કરારની કાયદેસરતાની પુષ્ટિ કરે છે. જોકે, હાલમાં રાજકોટ મહાનગરપાલિકામાં ચૂંટાયેલું બોર્ડ અસ્તિત્વમાં નથી અને જનપ્રતિનિધિઓની ગેરહાજરીમાં વહીવટી તંત્ર દ્વારા કામગીરી સંભાળવામાં આવી રહી છે. સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ગેરહાજરીમાં શહેરના વિકાસકામો કે રોજિંદા વહીવટી કરારો અટકી ન પડે તે હેતુથી કમિશનર તુષાર સુમેરાએ કલમ હેઠળની વિશેષ સત્તાનો ઉપયોગ કર્યો છે. આ આદેશ મુજબ, હવેથી કરારનામા પર સહી કરવા માટે ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. મ્યુ. કમિશનર તુષાર સુમેરાના આદેશ અનુસાર, હવેથી સેન્ટ્રલ ઝોનના નાયબ કમિશનર, સહાયક કમિશનર અને ચીફ એકાઉન્ટન્ટને આ સત્તા સુપરત કરવામાં આવી છે. આ ત્રણ અધિકારીઓમાંથી કોઈપણ બે અધિકારીઓ હવે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોના સ્થાને રાજ્યમાન્ય કરારો અને અન્ય કાનૂની દસ્તાવેજો પર સહી કરી શકશે. આ વ્યવસ્થા નવી ચૂંટાયેલી પાંખ સત્તા પર ન આવે ત્યાં સુધી કાર્યરત રહેશે. ઉલ્લેખનીય છે કે, આ નિર્ણયથી મનપાના પેન્ડિંગ રહેલા કરારો અને નવા પ્રોજેક્ટ્સની મંજૂરીની પ્રક્રિયામાં ગતિ આવશે. અગાઉ સભ્યોની ગેરહાજરીને કારણે કાનૂની ગૂંચ ઉભી થવાની શક્યતા હતી, પરંતુ હવે વહીવટી સ્તરે જ આ સત્તાનું વિકેન્દ્રીકરણ કરી દેવામાં આવતા કામગીરી સરળ બનશે. અધિકારીઓને આ જવાબદારી સોંપાતા હવે કોન્ટ્રાક્ટરો સાથેના એગ્રીમેન્ટ અને અન્ય સરકારી દસ્તાવેજોની કામગીરીમાં વિલંબ થશે નહીં.
વાપીમાં 27 લાખની ચોરીનો મામલો:આરોપી અજય સોલંકીની જામીન અરજી કોર્ટે ફગાવી
વાપી GIDC પોલીસ મથકે નોંધાયેલા ૨૭ લાખ રૂપિયાના સોનાના ઘરેણાંની ચોરીના ગુનામાં પકડાયેલા આરોપી અજય કાંતિલાલ સોલંકીની જામીન અરજી વાપીના એડિશનલ સેશન્સ જજે ફગાવી દીધી છે. સરકારી વકીલની દલીલોને ધ્યાને રાખી કોર્ટે આરોપીને જેલહવાલે રાખવાનો હુકમ કર્યો છે. ઘટનાની વિગત મુજબ, ફરિયાદી પરિવાર ૨૮ ડિસેમ્બર ૨૦૨૫ થી ૨૩ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન મહારાષ્ટ્ર ખાતે પોતાના વતન ગયો હતો. આ સમયે ઘરના ધાબા પરની જાળીનો દરવાજો લોક કરવાનું રહી ગયું હતું. તસ્કરોએ આનો લાભ ઉઠાવી ઘરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ કોમ્પ્યુટર ટેબલના ડ્રોઅરમાંથી કબાટની ચાવી શોધી કાઢી હતી. ત્યારબાદ તિજોરી ખોલી અંદર રહેલા અંદાજે ૨૪.૫ તોલા સોનાના ઘરેણાંની ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ ચાવી અને દરવાજો યથાવત કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ચોરી થયેલી મત્તામાં કુલ ૨૬,૯૫,૦૦૦/- રૂપિયાના કિંમતી ઘરેણાંનો સમાવેશ થાય છે. જેમાં બે મંગળસૂત્ર (૬ તોલા, રૂ. ૬.૬૦ લાખ), નેકલેસ અને હાર (૬ તોલા, રૂ. ૬.૬૦ લાખ), સોનાના પાટલા (૫ તોલા, રૂ. ૫.૫૦ લાખ), બુટ્ટી, રીંગ અને ચેઈન (અંદાજે ૫.૫ તોલા, રૂ. ૬.૧૪ લાખ) તેમજ અંગુઠી, કડુ અને સિક્કા (અંદાજે ૩ તોલા, રૂ. ૨.૧૧ લાખ)નો સમાવેશ થાય છે. આ ગુનામાં સંડોવાયેલા આરોપી અજય કાંતિલાલ સોલંકીની ધરપકડ બાદ તેણે નિયમિત જામીન મેળવવા અરજી કરી હતી. સુનાવણી દરમિયાન ડી.જી.પી. અનિલ ત્રિપાઠીએ હાજર રહી જામીનનો સખત વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે ગુનાની ગંભીરતા અને ચોરી થયેલી મત્તા મોટી હોવાથી આરોપીને જામીન ન આપવા જોઈએ. વાપીના એડિશનલ સેશન્સ જજ એચ.એન. વકીલએ આ દલીલો ગ્રાહ્ય રાખી આરોપીની જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો.
વિધાનસભામાં આજે(17 માર્ચ)ચૂંટણી પંચના ખર્ચ અંગે ચર્ચા કરવા મુદ્દે ઉઠેલા પોઇન્ટ ઓફ ઓર્ડર પર તીવ્ર ચર્ચા થઈ હતી. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે આક્ષેપ કર્યો કે ચૂંટણી ખર્ચની ચર્ચા ગૃહમાં કેમ ન થઈ શકે અને આ ચર્ચામાં શું છુપાવવામાં આવી રહ્યું છે. તેમણે નોંધાવ્યું કે ગત 8 માર્ચની પૂરક માંગણીમાં ચૂંટણી ખર્ચનો મુદ્દો એજન્ડામાં સામેલ હતો, છતાં ચર્ચા અટકાવવામાં આવી રહી છે. સાથે જ તેમણે સરકારના વિભાગોમાં ખામીઓ હોવાનો પણ ઉલ્લેખ કર્યો અને કાપ દરખાસ્તો રદ કરવા પાછળના કારણો પૂછ્યા. ‘બંધારણીય રીતે ચૂંટણી પંચની ટીકા ગૃહમાં કરી શકાતી નથી’આ મુદ્દે મંત્રી અર્જુન મોઢવાડિયાએ જવાબ આપતા જણાવ્યું કે ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે અને બંધારણીય રીતે તેની ટીકા ગૃહમાં કરી શકાતી નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે ચૂંટણી પંચની ટીકા રૂપે કાપ દરખાસ્તો મૂકવામાં આવે છે, તેથી આ પ્રકારની ચર્ચા યોગ્ય નથી. ‘અનુદાનની માંગણીઓ પર ચર્ચા અધ્યક્ષના નિર્દેશથી જ થઈ શકે’લાંબી દલીલો બાદ અધ્યક્ષ શંકર ચૌધરીએ નિર્ણય આપતા જણાવ્યું કે અનુદાનની માંગણીઓ પર ચર્ચા અધ્યક્ષના નિર્દેશથી જ થઈ શકે છે. તેમણે ઉમેર્યું કે હાઇકોર્ટ અને ચૂંટણી પંચ સ્વાયત સંસ્થાઓ છે અને ગૃહમાં તેમની ચર્ચા થઈ શકતી નથી, કારણ કે આ સંસ્થાઓ ગૃહમાં ઉપસ્થિત નથી. ગોપાલ ઇટાલિયાના પોઇન્ટ ઓફ ઓર્ડર પર તેમણે સ્પષ્ટ કર્યું કે કામકાજ સલાહકાર સમિતિ દ્વારા કોઈ ફેરફાર કરાયો નથી અને અધ્યક્ષના નિર્ણય બાદ આ મુદ્દે વધુ ચર્ચા શક્ય નથી. 24 માર્ચે UCC બિલ ગૃહમાં રજૂ થવાની શક્યતાબીજી તરફ, યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) બિલ લાવવા મુદ્દે કામકાજ સલાહકાર સમિતિની બેઠક સાંજે 5 વાગ્યે અધ્યક્ષની અધ્યક્ષતામાં યોજાશે. બેઠકમાં સરકારી બિલ અંગે ચર્ચા થવાની છે અને સરકાર દ્વારા કુલ 4 વિધેયકો લાવવાની તૈયારી છે. વિધાનસભાની કાર્યવાહી 25 માર્ચ સુધી ચાલવાની છે, જેમાં અંતિમ દિવસોમાં આ વિધેયકો રજૂ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, 24 માર્ચે યુસીસી બિલ ગૃહમાં રજૂ થવાની શક્યતા છે.
સુરત શહેરમાં તસ્કરો હવે નાની-મોટી ચીજવસ્તુઓને પણ છોડી રહ્યા નથી. સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક અજીબ કહી શકાય તેવી ચોરીની ઘટના સામે આવી છે, જેમાં કોઈ કિંમતી ઘરેણાં કે રોકડ નહીં પરંતુ રોજિંદા વપરાશના દૂધની ચોરી થઈ રહી છે. એ પણ એક સગીર દ્વારા આ ચોરી કરવામાં આવતી હોવાનું સીસીટીવીમાં કેદ થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પુણા વિસ્તારમાં ઘરમાંથી ગેસ સિલિન્ડર પણ ચોરી થયો હતો. શું છે સમગ્ર ઘટના? કાપોદ્રા વિસ્તારમાં આવેલી માધવ મિલ્ક પેલેસ નામની એક ડેરીના સંચાલક છેલ્લા ઘણા સમયથી પરેશાન હતા. દરરોજ વહેલી સવારે જ્યારે દૂધની કંપની દ્વારા દુકાન બહાર દૂધના કેરેટ મૂકવામાં આવતા હતા, ત્યારે તેમાંથી દૂધની બોટલો ઓછી જોવા મળતી હતી. અજાણ્યો સગીર વયનો કિશોર વહેલી સવારે અંધારાનો લાભ લઈ શાંતિથી આવતો અને દૂધના ભરેલા કેરેટમાંથી નજર ચુકવીને બોટલો ચોરી જતો હતો. ચોરને પકડવા માટે દુકાનદારે ખાસ સીસીટીવી લગાવ્યા દુકાનદારના જણાવ્યા અનુસાર, દરરોજ અંદાજે 5 થી 10 જેટલી દૂધની બોટલોની ચોરી થતી હતી. સતત થતા આ આર્થિક નુકસાનથી કંટાળીને આખરે દુકાનદારે તપાસ કરવાનું નક્કી કર્યું. ચોરને પકડવા માટે દુકાનદારે ખાસ સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. આ વ્યૂહરચના સફળ રહી અને રાત્રિના ફૂટેજ તપાસતા ચોરીની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. CCTVમાં કેદ થયો ‘દૂધચોર’ સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, એક અજાણ્યો સગીર ડેરી પાસે આવે છે. આજુબાજુ નજર ફેરવી કોઈ જોઈ રહ્યું નથી તેની ખાતરી કરે છે. ત્યારબાદ સિફતપૂર્વક દૂધના કેરેટમાંથી બોટલો કાઢીને રફુચક્કર થઈ જાય છે. વારંવાર થતી આ ચોરી અને સીસીટીવી પુરાવા મળ્યા બાદ, દુકાનદારે હવે કાયદાકીય રસ્તો અપનાવ્યો છે. પોલીસ કાર્યવાહીની તજવીજ દુકાનદાર દ્વારા આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સ્થાનિક વેપારીઓમાં પણ આ ઘટનાને લઈને રોષ જોવા મળી રહ્યો છે અને વહેલી સવારે પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી છે. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આ ચોર સગીરની ઓળખ કરી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કરશે તેવું મનાઈ રહ્યું છે.
વડોદરાના વારસિયા રિંગ રોડ પર આવેલા વિજયનગર માઈ દેવીપૂજક મંદિર પાસે એક હૃદયદ્રાવક ઘટના બની છે, જ્યાં નિધિ ફ્લેટ પાછળ રહેતા ધનસાબેન હસમુખભાઈ ચુનારા નામની પરિણીતાએ મંદિરની બાજુમાં આવેલા વડના ઝાડ સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. ભરચક વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને 112 જનરક્ષક સહિત વારસિયા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પરિણીતાના આ આકસ્મિક પગલાથી પરિવારમાં હૈયાફાટ રુદન મચી ગયું છે, જ્યારે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આપઘાત પાછળના કારણો જાણવા વધુ તપાસ હાથ ધરી છે. અમે આ સમાચાર સતત અપડેટ કરી રહ્યાં છીએ…
ચકચારી ઉના કાંડમાં આજે કોર્ટ સંભળાવશે સજા:દોષિત 5 આરોપી પર વેરાવળ કોર્ટનો કડક વલણ શક્ય
ગીર સોમનાથ જિલ્લાના બહુચર્ચિત ઉના કાંડમાં આજે મહત્વપૂર્ણ તબક્કો છે. વેરાવળ અદાલતે ગઈકાલે પાંચ આરોપીઓને દોષિત ઠેરવ્યા બાદ આજે મંગળવારે તેમને સજા સંભળાવશે. વર્ષ 2016માં બનેલી આ ઘટનાની સજાને લઈને રાજ્યભરમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. કોર્ટ દ્વારા દોષિત ઠેરવાયેલા રમેશ જાદવ, રાકેશ જોશી, પ્રમોદ ગૌસ્વામી, નાગજી ડાયા અને બળવંત ગૌસ્વામી સામે આજે સજાની જાહેરાત થશે. આ પાંચેય આરોપીઓ પર દલિત યુવાનો પર અમાનવીય અત્યાચાર અને પૂર્વનિયોજિત હુમલો કરવાનો ગુનો સાબિત થયો છે. આ જ કેસમાં 37 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ચાર પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. જોકે, સજા અંગેનો આજનો નિર્ણય સમગ્ર કેસની દિશા અને સમાજમાં તેના પ્રભાવને નક્કી કરનાર સાબિત થશે. ઉલ્લેખનીય છે કે 11 જુલાઈ 2016ના રોજ ઉનાના મોટા સમઢિયાળા ગામે આ ઘટના બની હતી. દલિત યુવાનોને જાહેરમાં અર્ધનગ્ન કરી બેરહેમીથી માર મારવાના વીડિયો વાયરલ થતાં દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થા તેમજ સામાજિક સમરસતા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા હતા. ઉના કાંડ બાદ ગુજરાત સહિત દેશભરમાં ભારે વિરોધ પ્રદર્શનો થયા હતા. લગભગ દસ વર્ષ બાદ આ કેસ અંતિમ તબક્કે પહોંચ્યો છે. આજે સજાની જાહેરાત માત્ર દોષિતોને સજા આપવાનો નહીં, પરંતુ પીડિતોને ન્યાય અને સમાજમાં કાયદા પ્રત્યે વિશ્વાસ મજબૂત કરવાનો પણ પ્રશ્ન છે. આ નિર્ણય ભવિષ્યમાં આવા ગુનાઓ સામે કડક સંદેશ આપશે કે નહીં તે મહત્વનું રહેશે. દોષિત ઠરેલા આરોપીઓની યાદી 37 આરોપીઓને નિર્દોષ જાહેર કરી છુટકારો અપાયો છે, જેમાં ચાર પોલીસકર્મીઓ પણ સામેલ છે. સમગ્ર દેશના રાજકારણ અને સામાજિક વ્યવસ્થાને હચમચાવી દેનારા ગીર સોમનાથ જિલ્લાના બહુચર્ચિત 'ઉના કાંડ'માં આજે વેરાવળ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે. વર્ષ 2016માં બનેલી આ ઘટનામાં લાંબી કાયદાકીય લડત બાદ અદાલતે મુખ્ય 5 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે, જ્યારે પુરાવાના અભાવે 37 આરોપીઓને નિર્દોષ જાહેર કરીને છોડી મૂકવાનો આદેશ આપ્યો છે. અદાલત આજે મંગળવારે દોષિતોને સજાની જાહેરાત કરશે. કોને દોષિત ઠેરવવામાં આવ્યા? વેરાવળ કોર્ટે આ કેસના મુખ્ય સૂત્રધારો અને હુમલામાં સીધી રીતે સંકળાયેલા નીચેના પાંચ શખ્સોને તકસીરવાન ઠેરવ્યા છે. જેમાં રમેશ જાદવ, રાકેશ જોશી, પ્રમોદ ગૌસ્વામી, નાગજી ડાયા અને બળવંત ગોસ્વામીનો સમાવેશ થાય છે. આ પાંચેય આરોપીઓ પર અત્યાચાર ગુજારવા અને કાવતરું ઘડવા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો સાબિત થયો છે. પોલીસકર્મીઓ સહિત 37 આરોપીઓ નિર્દોષ આ કેસમાં કુલ 42 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો, જેમાંથી 37ને અદાલતે નિર્દોષ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ઘટના સમયે ફરજમાં બેદરકારી દાખવવા બદલ જે ચાર પોલીસકર્મીઓ સામે તપાસ થઇ હતી તેમને પણ કોર્ટે નિર્દોષ ઠેરવ્યા છે. નિર્દોષ પોલીસકર્મીઓમાં કંચનબેન, તત્કાલીન PSI પાંડે, તત્કાલીન ઉના PSO કરશનભાઈ અને નિર્મલ ઝાલા (જેમનું નિધન થઇ ચૂક્યું છે)નો સમાવેશ થાય છે. કુલ આરોપીઓમાંથી બે આરોપીઓનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયું છે. હવે જાણો આખો બનાવ શું હતો… 11 જુલાઈ 2016ના રોજ મોટા સમઢીયાળા ગામના એક અનુસૂચિત જાતિ પરિવારના સાત સભ્યો મૃત પશુનું ચામડું ઉતારી રહ્યા હતા. આ દરમિયાન ગૌરક્ષક હોવાનો દાવો કરનારા કેટલાક શખસે આવીને આરોપ લગાવ્યો કે આ મૃત પશુ ગાય છે અને ગૌહત્યાનો પાયાવિહોણો આરોપ લગાવી પરિવાર પર હુમલો કર્યો હતો. પીડિતોને ગાડી સાથે બાંધી લાકડીઓ અને લોખંડના પાઈપથી બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હતો. આટલેથી ન અટકતાં ચાર યુવકોને ઉના શહેરમાં લાવી જાહેરમાં અર્ધનગ્ન કરી ફટકારવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં અનુસૂચિત જાતિ સમુદાયમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન અને ‘દલિત અસ્મિતા યાત્રા’ વીડિયો વાઈરલ થયા બાદ અમદાવાદ, રાજકોટ અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં હિંસક વિરોધ પ્રદર્શનો થયા હતા. દલિત નેતા જીજ્ઞેશ મેવાણીના નેતૃત્વમાં અમદાવાદથી ઉના સુધીની 'દલિત અસ્મિતા યાત્રા' યોજાઈ હતી. 15 ઓગસ્ટ 2016ના રોજ ઉના ખાતે હજારોની સંખ્યામાં દલિતો ઉમટી પડ્યા હતા અને પરંપરાગત સફાઈ તથા મરેલા પશુઓના નિકાલના કામનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. કાનૂની કાર્યવાહીની ટાઈમ લાઈન ધરપકડ: સીઆઈડી (ક્રાઈમ) દ્વારા 4 પૂર્વ પોલીસ અધિકારીઓ સહિત કુલ 43 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ચાર્જશીટ: ડિસેમ્બર 2016માં હત્યાનો પ્રયાસ, લૂંટ, અપહરણ અને અત્યાચાર વિરોધી કાયદા (એટ્રોસિટી એક્ટ) હેઠળ ગુનો નોંધી ચાર્જશીટ દાખલ કરાઈ હતી. ટ્રાયલ: ઓગસ્ટ 2018થી આ કેસની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે, જોકે મોટાભાગના આરોપીઓ હાલ જામીન પર મુક્ત હતા. પીડિતોની મુલાકાતે જનસૈલાબ ઉમટ્યો હતો મોટા સમઢીયાળા ગામે જ્યારે આ અમાનવીય ઘટના બની ત્યારે પીડિત પરિવારોને સાંત્વના આપવા માટે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાંથી સામાજિક કાર્યકરો, દલિત સંગઠનો અને સામાન્ય નાગરિકો ઉમટી પડ્યા હતા. લોકોમાં ભારે રોષ જોવા મળતો હતો અને પીડિતોના ઘરની આસપાસ સતત લોકોની અવરજવર રહેતી હતી. આ મુલાકાતો માત્ર સહાનુભૂતિ પુરતી મર્યાદિત ન રહેતા એક મોટા જનઆંદોલનમાં પરિવર્તિત થઈ હતી, જેમાં 'ચલો ઉના' જેવા નારાઓ સાથે હજારો લોકોએ પદયાત્રામાં ભાગ લીધો હતો. રાહુલ ગાંધી, કેજરીવાલ, માયાવતી પણ ઉના પહોંચ્યા હતા આ ઘટનાની ગંભીરતાને જોતા રાષ્ટ્રીય કક્ષાના અનેક દિગ્ગજ નેતાઓ પીડિતોને મળવા ઉનાના મોટા સમઢીયાળા અને રાજકોટ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતી જેવા નેતાઓએ પીડિતોની મુલાકાત લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તત્કાલિન કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ પીડિતોના ઘરે જઈને ન્યાયની ખાતરી આપી હતી. આ રાજકીય મુલાકાતોને કારણે આ મુદ્દો સંસદ સુધી ગાજ્યો હતો અને રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. દેશભરમાં પડ્યા હતા ઘેરા પ્રત્યાઘાત ઉનાકાંડ બાદ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં આંદોલનો થયા હતા. એકલા ગુજરાતમાં જ હુલ્લડના 74 બનાવો નોંધાયા હતા. આ હિંસામાં એક પોલીસકર્મીનું મોત થયું હતું અને કરોડો રૂપિયાની જાહેર મિલકતોને નુકસાન પહોંચ્યું હતું. આ કેસને કારણે ગુજરાતના તત્કાલીન રાજકારણમાં પણ મોટા ફેરફારો જોવા મળ્યા હતા.
શંખેશ્વરમાં ટ્રેક્ટર નીચે કચડાતાં 2 વર્ષની બાળકીનું મોત:ચાલકની બેદરકારીથી મોટી ચંદુર ગામે ઘટના બની
પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મોટી ચંદુર ગામે એક દુર્ઘટનામાં 2 વર્ષ અને 2 માસની બાળકીનું ટ્રેક્ટર નીચે કચડાઈ જતાં મોત થયું છે. ખેતરમાં મજૂરી કરતા શ્રમિક પરિવારની આ બાળકી હતી. આ મામલે શંખેશ્વર પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના રામા તાલુકાના દુધી અમરકોટ ગામનો એક શ્રમિક પરિવાર હાલ શંખેશ્વરના મોટી ચંદુર ગામે ખેત મજૂરી માટે આવેલો છે. ઘટનાના દિવસે સવારે, પરિવારના સભ્યો મોટી ચંદુર ગામના દિનેશભાઈના ખેતરમાં કપાસ વીણવા ગયા હતા. ફરિયાદી ધર્મેન્દ્ર મિનસિંહ અમરા ગામડને તાવ હોવાથી તેઓ ઘરે રોકાયા હતા, જ્યારે તેમના પત્ની અને બાળકો ખેતરે ગયા હતા. સાંજના સમયે ખેતરમાં ટ્રેક્ટર ટ્રોલી સાથે ઊભું હતું. તે દરમિયાન ફરિયાદીની 2 વર્ષની દીકરી લક્ષ્મી ટ્રેક્ટરના પાટા ઉપર ચડતી હતી. આ સમયે ટ્રેક્ટર ચાલક રાજુભાઈએ આજુબાજુ જોયા વગર કે ધ્યાન રાખ્યા વગર અચાનક ટ્રેક્ટર ચાલુ કરીને આગળ વધાર્યું હતું. ટ્રેક્ટર ચાલકની આ બેદરકારીને કારણે બાળકી ટ્રેક્ટરના પાટા નીચે આવી ગઈ હતી. તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ મૃતક બાળકીના પિતા ખેતરે દોડી ગયા હતા. રાત્રિના સમયે સામાજિક આગેવાનો હાજર ન હોવાથી બીજા દિવસે સવારે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે શંખેશ્વર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. શંખેશ્વર પોલીસે ટ્રેક્ટર ચાલક રાજુભાઈ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 106(1), 281 તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 અને 134 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં 17 વર્ષના સગીરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. સગીરના મોત બાદ બેડ નીચેથી 3 પાનાની અંગ્રેજીમાં લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેના પિતા, દાદા, દાદી અને ફોઈ ત્રાસ આપતા હતા જેના કારણે કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કરાયો છે. રાણીપ પોલીસે સમગ્ર મામલે ચારેય સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પતિ રોજ દારૂ પીતો અને કામ ધંધેથી આવીને તેમની સાથે મારઝૂડ કરતોરાણીપમાં રહેતી પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે કે, તેમને સંતાનમાં 17 વર્ષનો દીકરો અને 5 વર્ષની દીકરી છે. તેમનો 17 વર્ષનો દીકરો ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. પરિણીતાના લગ્ન વર્ષ 2008માં મુકેશ (નામ બદલ્યું છે) સાથે થયા હતા. લગ્ન બાદ પરિણીતાનો પતિ મુકેશ રોજ દારૂ પીતો અને કામ ધંધેથી આવીને તેમની સાથે મારઝૂડ કરતો હતો. પરિણીતાના સાસુ, સસરા પણ દીકરાનું ઉપરાણું લેતા હતા. પરિણીતાએ દીકરાને જન્મ આપ્યો ત્યારબાદ તેમના નણંદ તેમને કહેતા હતા કે, તું અને તારો દીકરો મરી જાવ તો સારું. આમ સાસુ-સસરા, પતિ અને નણંદ અવારનવાર ત્રાસ આપતા હતા. પરિણીતા તેના પતિ સાથે રાણીપના એક એપાર્ટમેન્ટમાં રહેવા આવીથોડા સમય અગાઉ પરિણીતા તેમના પિયરમાં બંને સંતાન સાથે રહેવા જતા રહ્યા હતા. ત્યાં પણ તેમનો પતિ મુકેશ રાજકોટ આવ્યો હતો અને પરિણીતાના પિતાને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. સગીરનો ધોરણ 10નો અભ્યાસ પૂર્ણ થતા પરિણીતા તેમના પતિ સાથે રાણીપના એક એપાર્ટમેન્ટમાં રહેવા આવ્યા હતા. પરિણીતાનો સગીર દીકરો સ્કૂલમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. એક વખત સગીરના પિતા તેની સ્કૂલે ચપ્પુ લઈને મારવા ગયા હતાપતિ મુકેશ દારૂ પીને આવી પરિણીતા અને તેમના દીકરાની સાથે મારઝૂડ કરતો હતો. દીકરાએ આ અંગે તેમના સાસુ, સસરા અને નણંદને ફોન કરીને તેના પિતાએ કરેલી મારઝૂડ અંગે જાણ કરી તો તેમને કહ્યું હતું કે, તું અને તારી મા મરી જાવ તો શાંતિ થાય. જેને કારણે પરિણીતાનો સગીર વયનો દીકરો ટેન્શનમાં રહેતો હતો. એક દિવસ સગીરના પિતા મુકેશ તેની સ્કૂલ આગળ ચપ્પુ લઈને મારવા પણ ગયા હતા. જેના કારણે સગીર ડરી પણ ગયો હતો. બપોરના સમયે પરિણીતાએ સગીરને ફોન કર્યો પણ તેણે ઉપાડ્યો નહીં9 માર્ચના રોજ પરિણીતા તેમના બહેનના ઘરે નરોડા ખાતે રહેવા ગઈ હતી. દરમિયાન તેમનો દીકરો ટ્યુશન ક્લાસ ચાલુ હોવાથી રાતે એકલો રાણીપ ખાતે રોકાયો હતો. 10 માર્ચના રોજ સગીરે તેની માતાને ફોન કરીને કહ્યું હતું કે, તેણે રાત્રે મોડા સુધી અભ્યાસ કર્યો છે જેથી તે અત્યારે સુઈ જાય છે. જે બાદ બપોરના સમયે પરિણીતાએ સગીરને ફોન કર્યો તો ફોન ઉપાડ્યો ન હતો. તેથી પરિણીતા પડોશીઓને જાણ કરી હતી. રૂમના કાચની સાઇડરની બારી ખોલીને જોતા સગીરે ગળાફાંસો ખાધેલો હતોપાડોશીઓએ પરિણીતાના ઘરનો દરવાજો ખખડાવ્યો, પરંતુ સગીરે ખોલ્યો ન હતો તેથી પાડોશીઓએ રૂમના કાચની સાઇડરની બારી ખોલીને જોતા સગીરે ગળાફાંસો ખાધેલો હતો. પરિણીતા અને તેમના પરિવારના સભ્યો રાણીપ પહોંચ્યા ત્યારે સગીર મૃત હાલતમાં હતો. જે બાદ સગીરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પિતા, દાદા, દાદી અને ફોઈના માનસિક ત્રાસથી આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખસગીરના મોત બાદ તેના બેડના નીચેથી એક સુસાઇડ નોટ મળી હતી. આ ત્રણ પાનાની સુસાઇડ નોટમાં અંગ્રેજીમાં સગીરે તેના મરવાનું કારણ તેના પિતા, દાદા, દાદી અને ફોઈના માનસિક ત્રાસનું હોવાનું લખ્યું હતું. રાણીપ પોલીસે સમગ્ર મામલે સગીરાના પિતા, દાદા, દાદી અને ફોઈ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાણીપ PI કેતન વ્યાસે જણાવ્યું હતું કે, સગીરની સ્યુસાઈડ નોટ FSLમાં મોકલવામાં આવી છે. હાલ આરોપીની તપાસ ચાલી રહી છે.
અમને પૂછીને શરૂ કર્યું હતું? ઈરાન સાથેના યુદ્ધમાં સાથીઓ શોધી રહેલા ટ્રમ્પને આ દેશે આપ્યો ઝટકો
(IMAGE - IANS) German Chancellor Friedrich Merz on Iran War: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સામેના યુદ્ધમાં મિત્ર દેશોનો સાથ મેળવવા મથામણ કરી રહ્યા છે, પરંતુ તેમને સતત નકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. નાટોના સભ્ય દેશ જર્મનીએ આ યુદ્ધમાં જોડાવાની ચોખ્ખી ના પાડી દીધી છે.
વિરોચનનગર પાસે ટ્રીપલ અકસ્માત, બેનાં મોત:ડમ્પર, ટેન્કર અને થાર અથડાતાં વાહનોમાં આગ લાગી
અમદાવાદ ગ્રામ્યના સાણંદ-વિરમગામ હાઈવે પર વિરોચનનગર પાટિયા નજીક મોડી રાત્રે એક ગંભીર ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ડમ્પર, ટેન્કર અને થાર કાર વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી, જેના કારણે બે લોકોના કરૂણ મોત થયા હતા. અકસ્માત એટલો ભયાવહ હતો કે ટક્કર બાદ ત્રણેય વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાઈ રહી હતી. ઘટનાની જાણ થતાં જ સાણંદ ફાયર ફાઈટર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ફાઈટરોએ લગભગ બે કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આ અકસ્માતને કારણે હાઈવે પર લાંબા સમય સુધી ટ્રાફિક જામ થયો હતો, જેનાથી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. માર્ચ મહિનામાં જ ગરમી 40 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહી છે, ત્યારે અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી રાહત આપવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ગરમીના કારણે પ્રાણીઓ પર કોઈ અસર ન થાય તેના માટે પાણીનો છંટકાવ અને તેમના પિંજરાની આગળ કુલર મૂકવામાં આવ્યા છે. પ્રાણી સંગ્રહાલયમાં કેટલાક પશુઓને ગરમીમાંથી તેના માટે શક્કરટેટી, શેરડી વગેરે જેવા પદાર્થો પણ ખાવા માટે આપવામાં આવે છે. પીવાના પાણીમાં ORS મિશ્રિત કરીને પણ આપવામાં આવે છે જેથી ગરમીમાં પ્રાણીઓને કોઈ તકલીફ ન પડે. પ્રાણી સંગ્રહાલયમાં બહારના વિસ્તાર કરતાં એકથી બે ડિગ્રી ઓછું તાપમાન રહે તેના માટે પાણીનો છંટકાવ પણ કરાય છે. પશુ-પક્ષી અને મુલાકાતીઓને ગરમીથી રક્ષણ મળે તે માટે ખાસ વ્યવસ્થાકાંકરિયા પ્રાણી સંગ્રહાલયના સુપ્રીટેન્ડેન્ટ ડો. સર્વ શાહે જણાવ્યું હતું કે, ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. જેમાં અમદાવાદમાં અત્યારથી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં રહેલા પશુ-પક્ષીઓ, સરીસૃપો અને આવતાં મુલાકાતીઓને ગરમીથી રક્ષણ મળી રહે તેના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વાઘ, સિંહ, દીપડા અને હાથી જેવા મોટા પ્રાણીઓના પિંજરાઓ પાસે મોટા ઇન્ડસ્ટ્રીયલ કુલર મૂકવામાં આવ્યા છે જેથી તેમને ઠંડક મળી રહે. હિપો, મગર અને વાઘ જેવા પ્રાણીઓને પાણી વધુ ગમતું હોવાથી તેમના હોજને પાણીથી ભરીને રાખવામાં આવે છે. આસપાસનું વાતાવરણ ઠંડુ રાખવા સતત પાણીનો છંટકાવવધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રાણીઓના આહારમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં શક્કરટેટી, તરબૂચ અને શેરડીનો રસ વગેરે આપવામાં આવે છે. આ ઉપરાંત પ્રાણીઓના પીવાના પાણીમાં ઇલેક્ટ્રલ પાવડર અને ઓઆરએસનું મિશ્રણ પણ કરવામાં આવે છે. ઉપરાંત દિવસ દરમિયાન સમયાંતરે પાણીનો છંટકાવ કરીને આસપાસનું વાતાવરણ ઠંડુ રાખવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ વ્યવસ્થા દ્વારા પ્રાણીઓને ગરમીમાં આરામ મળે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ડિહાઇડ્રેશનની સમસ્યા ન સર્જાય તે માટે આહારમાં પણ ખાસ ફેરફારપક્ષીઓ માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પક્ષીઓના પિંજરાઓની આસપાસ સતત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. સાથે જ પિંજરાઓ ઉપર ગ્રીન નેટ બાંધીને સીધી ગરમીનો પ્રભાવ ઓછો થાય તે માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પગલાંના કારણે પિંજરામાં તાપમાન નિયંત્રિત રાખવામાં મદદ મળે છે. ગરમીના દિવસોમાં પ્રાણીઓમાં ડિહાઇડ્રેશનની સમસ્યા ન સર્જાય તે માટે તેમના આહારમાં પણ ખાસ ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રાણી સંગ્રહાલયના તબીબી સ્ટાફ દ્વારા પ્રાણીઓના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે. કોઈ પ્રાણીમાં ગરમીના કારણે તકલીફ જણાય તો તાત્કાલિક સારવાર આપવામાં આવે તેવી વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.
વેરાવળમાં વિરાટ હિન્દુ સંમેલન યોજાયું:હિન્દુ સમાજને જાગૃત કરવા અને સંસ્કૃતિ સંરક્ષણ પર ભાર
વેરાવળના 60 ફૂટ મેઈન રોડ પર આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ સમાજને જાગૃત, સંગઠિત અને શક્તિશાળી બનાવવા તેમજ સનાતન સંસ્કૃતિનું સંરક્ષણ અને સામાજિક એકતા વધારવાના ઉદ્દેશ્ય સાથે આ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ચંદ્રમોલેશ્વર વસ્તીના હિન્દુ ભાઈઓ-બહેનો અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. વિવિધ સમાજના પટેલ પ્રમુખો, હોદ્દેદારો, સામાજિક-શૈક્ષણિક આગેવાનો અને નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આયોજનને સફળ બનાવવા માટે જનરલ ચંદ્રમોલેશ્વર વસ્તીના અધ્યક્ષ ભાર્ગવ ચોલેરા, ઉપાધ્યક્ષ એડવોકેટ મુકેશ મોરી, મંત્રી ધર્મેન્દ્રભાઈ લોઢીયા, અષ્ટવિનાયક ગ્રુપના દિલીપ ટાંક અને સામાજિક આગેવાન અનિસ રાચ્છ સહિતના મહાનુભાવોએ જહેમત ઉઠાવી હતી. વક્તા તરીકે મંજુલાબેન દેવાણી, કિન્નર સમાજના જિલ્લા પ્રમુખ પલક ચાવડા અને માર્કંડયભાઈ પાલાએ સંબોધન કર્યું હતું. બ્રહ્મ સમાજ, ભોઈ સમાજ, ગોલારાણા સમાજ, ધોબી સમાજ, સોની વેપારી એસોસિએશનના હોદ્દેદારો, જલારામ મંદિરના ટ્રસ્ટીઓ, સામાજિક, શૈક્ષણિક અને રાજકીય આગેવાનો તેમજ સત્સંગ મંડળના બહેનો પણ હાજર રહ્યા હતા. સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓએ હિન્દુત્વ પર આધારિત ચાર અલગ-અલગ પ્રતિકૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા. વક્તાઓએ હિન્દુત્વની ધરોહર અને સંસ્કૃતિને બચાવવા તેમજ પર્યાવરણ સંરક્ષણની આપણી ફરજ પર ભાર મૂકી હિન્દુત્વના પાઠ શીખવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પંચ પર બિરાજેલા મહાનુભાવો દ્વારા ભારત માતા અને ગીતા સહિતના ગ્રંથોનું પુષ્પ પૂજન કરીને કરવામાં આવી હતી. સ્વાગત પ્રવચન બાદ કાર્યક્રમનો અંત સમૂહ રાષ્ટ્રગાન સાથે થયો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા અષ્ટવિનાયક ગ્રુપના યુવાનોએ સક્રિય યોગદાન આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન સુજીત રતનધાયરા અને ગિરીશ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું.
અમરેલી જિલ્લામાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ:હાઇવે પર વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આજે વહેલી સવારે જિલ્લાના અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. અમરેલી-સાવરકુંડલા હાઈવે સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધુમ્મસનું પ્રમાણ એટલું વધારે હતું કે દૃશ્યતા ખૂબ ઓછી થઈ ગઈ હતી. આ ગાઢ ધુમ્મસના કારણે હાઈવે પર અવરજવર કરતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘણા વાહનચાલકોને દિવસના સમયે પણ હેડલાઈટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી. આગળનું દૃશ્ય સ્પષ્ટ ન દેખાતા વાહનચાલકો સાવચેતીપૂર્વક ધીમી ગતિએ વાહન ચલાવતા જોવા મળ્યા હતા. વાતાવરણમાં અચાનક આવેલા આ પલટાને કારણે તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. ઠંડા પવન સાથે ધુમ્મસ છવાતા સવારના સમયે ઠંડકનો માહોલ સર્જાયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં લોકો અને ખેડૂતો પણ ઠંડીના કારણે વહેલી સવારે બહાર નીકળવામાં સાવચેતી રાખતા જોવા મળ્યા હતા. હવામાનમાં આવેલા આ બદલાવને કારણે માર્ગ પર જતા વાહનચાલકોને ખાસ સાવચેતી રાખવા અને ધીમી ગતિએ વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે, જેથી કોઈપણ અનિચ્છનીય અકસ્માત ટાળી શકાય.
થાણે ખાતે રાષ્ટ્રીય લોક અદાલતમાં 83000 થી વધુ કેસોનો નિકાલ
વીજળી બિલ, પાણી બિલ કેસોનો મોટા પાયે ઉકેલ 181 ખાસ બેન્ચ રચાઈઃ પાંચ લાખથી વધુ કેસ હાથ ધરાયાઃ ૧૮૭ કરોડથી વધુ રકમનું નાણાંકીય સમાધાન મુંબઈ - ન્યાયિક વિલંબને દૂર કરવાના એક મોટા પ્રયાસમાં થાણે જિલ્લામાં આયોજિત રાષ્ટ્રીય લોક અદાલતમાં ૮૩,૪૨૪ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે, જેમાં મુકદ્દમા પહેલાના અને બાકી રહેલા કેસોનો સમાવેશ થાય છે, જેના પરિણામે કુલ ૧૮૭.૫૦ કરોડ રૃપિયાનું સમાધાન થયું છે, એમ એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું. ૧૪ માર્ચના રોજ હાથ ધરવામાં આવેલી આ દિવસભરની પહેલમાં ૧૦૧ ખાસ રચાયેલી બેન્ચોમાં ભારે પ્રતિસાદ જોવા મળ્યો હતો.
જૂનાગઢના સુપ્રસિદ્ધ અને લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના ભંડારામાં દારૂ અને નોનવેજની પાર્ટીનો વીડિયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર ઘટનાની તપાસ કલેક્ટરના આદેશથી પ્રાંત અધિકારીને સોંપવામાં આવી છે. તપાસના પ્રથમ દિવસે જ રવિવારની રજા હોવા છતાં પ્રાંત અધિકારીની કચેરી ખાતે પૂજારી, રસોયા અને PRO સહિત કુલ 26 લોકોને પૂછપરછ માટે બોલાવી તેમના નિવેદનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, આ તપાસ દરમિયાન આજે એક નવો વળાંક આવ્યો છે, જેમાં પૂજારી પ્રિન્સ ઠાકોરે પ્રાંત અધિકારી પર માર મારવાના ગંભીર આક્ષેપો કર્યા છે. મંદિરમાં માંસ-મટનનું પ્રકરણ બન્યું ત્યારે તે ત્યાં હાજર નહોતોપૂજારી પ્રિન્સ ઠાકોરે મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તે નાનપણથી અને બ્રહ્મલીન ધનસુખગીરી બાપુના સમયથી મંદિરમાં સેવા-પૂજા કરે છે. જે સમયે મંદિરમાં આ માંસ-મટનનું પ્રકરણ બન્યું ત્યારે તે ત્યાં હાજર નહોતો. ગઈકાલે રવિવારે સવારે 11:30 વાગ્યે તેને પ્રાંત અધિકારી કાંત સાહેબની ઓફિસે બોલાવવામાં આવ્યો હતો અને આખો દિવસ કશું જ ખાધા-પીધા વગર બેસાડી રાખી સાંજે તેનું નિવેદન લેવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે ફરીથી તેને બોલાવીને દબાણ કરવામાં આવ્યું હતું. 'તું જ આ પ્રકરણમાં સામેલ છે' તેમ કહી ગાળો ભાંડી ઢોર માર માર્યો હોવાનો આક્ષેપપ્રિન્સ ઠાકોરના જણાવ્યા અનુસાર આજે બપોરે જ્યારે તેને ફરી પૂછપરછ માટે બોલાવાયો ત્યારે સાહેબે તેને પૂછ્યું હતું કે, 'શું તું 25 તારીખે ઉપર ગયો હતો?'. પ્રિન્સે સ્વીકાર્યું હતું કે, તે રાંધણ છઠ હોવાથી દર્શન કરવા ગયો હતો પરંતુ, ત્યાં શું ચાલતું હતું તેની તેને જાણ નહોતી. આ સાંભળી પ્રાંત અધિકારી ઉશ્કેરાઈ ગયા હતા અને 'તું જ આ પ્રકરણમાં સામેલ છે' તેમ કહી ગાળો ભાંડી ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. પ્રિન્સે જણાવ્યું કે તેને વાંસાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે અને 8-10 લાફા-પાટું મારીને તેની પાસે પરાણે સહી કરાવી લેવામાં આવી છે. આ મામલે તેણે ન્યાયની માંગ કરી છે. પૂજારી અને વહીવટ સાથે જોડાયેલા કુલ 26 લોકોની પૂછપરછ કરવામાં આવી હતીબીજી તરફ ગઈકાલે રવિવારે પણ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ રાખવામાં આવ્યો હતો. પૂજારી અને વહીવટ સાથે જોડાયેલા 11 મુખ્ય વ્યક્તિઓ સહિત કુલ 26 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા ગિરનાર પર્વત પર સ્થળ તપાસ કરી પંચરોજકામ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે પ્રાંત અધિકારી ગોહિલ સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા તેમણે ફોન રિસીવ કરવાનું ટાળ્યું હતું. મંદિરની આસપાસ થયેલા ગેરકાયદે દબાણો પણ દૂર કરવાની તજવીજ હાથ ધરાઈઆ વિવાદની સાથે હવે મંદિરની સંપત્તિ અને ઘરેણાંની તપાસ પણ તેજ બની છે. નવાબી કાળના 45 તોલા સોનાના હાર સહિતની મિલકતોની યાદી તૈયાર કરી તેની ખરાઈ કરવામાં આવશે. આ સાથે જ મંદિરની આસપાસ થયેલા ગેરકાયદે દબાણો પણ દૂર કરવાની તજવીજ હાથ ધરાઈ છે. તંત્ર દ્વારા ટૂંક સમયમાં સંપૂર્ણ તપાસ અહેવાલ કલેક્ટરને સોંપવામાં આવશે, જેના આધારે દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી અને પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે
યુદ્ધની અસર:કચ્છના શિપિંગ ઉદ્યોગ પર ‘વોર’ની મહાઆફત
વૈશ્વિક સ્તરે સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિની સીધી અને માઠી અસર કચ્છના શિપિંગ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર વધેલા જોખમને કારણે શિપિંગ લાઈનો દ્વારા અધધ સરચાર્જ વસૂલવાનું શરૂ કરાતા કંડલા અને મુન્દ્રા પોર્ટ પર આયાત-નિકાસ સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયાના બિલ ફાટી રહ્યા છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે એક્સપોર્ટ યાર્ડમાં હજારો કન્ટેનરોના થપ્પા લાગી ગયા છે અને ઉદ્યોગ ફરી એકવાર અનિશ્ચિતતાના અંધકારમાં ધકેલાયો છે. યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના ભાવ વધતા ફ્યુલ સરચાર્જમાં મોટો ઉછાળો આવ્યો છે. હાલમાં શિપિંગ કંપનીઓ દ્વારા નીચે મુજબના ચાર્જ વસૂલવામાં આવી રહ્યા છે.ઇમરજન્સી વોર સરચાર્જ લાગુ કરાયો છે. જેથી $550 થી $600 (પર કન્ટેનર) જેમાં ફ્યુલ સરચાર્જ $200, પિક સિઝન સરચાર્જ $300 સામેલ છે. આ વધારાના બોજને કારણે એક્સપોર્ટ થનારા કન્ટેનરોનો ખર્ચ અચાનક વધી ગયો છે. જે કન્ટેનરો રવાના થવા માટે તૈયાર હતા, તેના પર આટલો મોટો ચાર્જ લાગુ પડતા અનેક એક્સપોર્ટરોએ આર્થિક નુકસાનથી બચવા માટે ભરેલા કન્ટેનરો ફરીથી ખાલી કરવાની ફરજ પડી છે. નિકાસ અટકતા કન્ટેનરોથી યાર્ડ હાઉસફૂલ થયાખર્ચ પરવડે તેમ ન હોવાથી નિકાસકારોએ માલ મોકલવાનું ટાળ્યું છે, જેના કારણે પોર્ટ વિસ્તારો અને પ્રાઈવેટ યાર્ડમાં કન્ટેનરોની લાંબી કતારો લાગી ગઈ છે. નિકાસકારોનું કહેવું છે કે જો આ સ્થિતિ લાંબો સમય ચાલશે તો આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય માલની સ્પર્ધાત્મકતા ઘટી જશે અને મોટા ઓર્ડર હાથમાંથી નીકળી જવાની ભીતિ છે. શિપિંગ ઉદ્યોગ માટે સૌથી મોટો ફટકો વીમા ક્ષેત્રે પડ્યો : વીમા કંપનીઓએ તો હાથ ઊંચા કર્યાશિપિંગ ઉદ્યોગ માટે સૌથી મોટો ફટકો વીમા ક્ષેત્રે પડ્યો છે. ઇન્સ્યોરન્સ કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે કે “યુદ્ધની સ્થિતિથી થતા નુકસાન સામે અમે સુરક્ષા કવર આપતા નથી.” કંપનીઓએ નવા ક્લોઝ જાહેર કરી દીધા છે, જેમાં વોર રિસ્ક (War Cover) સામેલ નથી. એટલે કે જો યુદ્ધને કારણે માલ કે જહાજને નુકસાન થાય, તો તેની સંપૂર્ણ જવાબદારી વેપારીની રહેશે. આ સ્થિતિએ જોખમનું પ્રમાણ અનેકગણું વધારી દીધું છે. આગામી દિવસોમાં મુશ્કેલી વધશે તો કંડલા અને મુન્દ્રા બંદર પર હજારો લોકોની રોજીરોટી પર ખતરોહાલ તો શિપિંગ ઉદ્યોગના માંધાતાઓ આશા રાખી રહ્યા છે કે સ્થિતિ થાળે પડે, પરંતુ જો યુદ્ધ લાંબુ ખેંચાય તો લોજિસ્ટિક્સ ખર્ચ સામાન્ય વેપારીની પહોંચ બહાર જતો રહેશે. કંડલા અને મુન્દ્રાના એક્ઝિમ (EXIM) સેક્ટર સાથે જોડાયેલા હજારો લોકોની રોજીરોટી પર પણ આ અનિશ્ચિતતાની અસર પડવાની શક્યતા છે.
લોકાર્પણ કરાયું:ભુજમાં 3 કરોડના ખર્ચે ‘જ્યોતિ કંચન’ સંકુલનું લોકાર્પણ
શહેરના આરાધના ભવન જૈન સંઘના ઉપક્રમે કીર્તિચંદ્ર સુરીશ્વરજી તથા અન્ય સાધુ-સાધ્વીજીઓની હાજરીમાં વાગડ સાત ચોવીસી જૈન સમાજના પરિવારોના આર્થિક સહયોગથી 3 કરોડના ખર્ચે નવનિર્મિત ‘જ્યોતિ કંચન’ સંકુલનું લોકાર્પણ કરાયું હતું. પ્રથમ ચરણમાં પરમાત્મા ભક્તિનો મહોત્સવ બાદ સંઘ વાજતે-ગાજતે સંભવનાથ જિનાલયથી સંકુલ સુધી યાત્રા કરી પહોંચ્યો હતો. અહીં પ્રવચન અને મંત્રોચાર વચ્ચે ‘દિવાળીબા હોલ’, લક્ષ્મીબેન જયેન્દ્રભાઈ દામજીભાઈ હોલ, લિફ્ટ સહિત વિવિધ રૂમો અને ઓફિસનું દાતા પરિવારોના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ સંકુલનો મુખ્ય લાભ માતા જ્યોતિબેન એ.ડી. મહેતા પરિવાર અને માતા કંચનબેન સી.ડી. મહેતા પરિવારે લીધો છે. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ ઉપાશ્રય ‘દિવાળીબા હોલ’નો લાભ રાપરના મહેતા મણિલાલ હરચંદભાઈ પરિવારે લીધો હતો, જ્યારે પ્રથમ માળ પર આવેલા ઉપાશ્રય હોલનો લાભ વિજયાસરના લક્ષ્મીબેન જયેન્દ્રભાઈ દામજીભાઈ લોહરીયા પરિવારે લીધો હતો. લિફ્ટ, વિવિધ રૂમો તેમજ સુવર્ણ અને રજત સ્તંભોના લાભ પણ અનેક દાતા પરિવારો દ્વારા લેવામાં આવ્યા હતા. સંઘના મેનેજિંગ ટ્રસ્ટી કમલ મહેતા અને મંત્રી ચંદુલાલ ગઢેચાએ જણાવ્યું હતું કે, સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ સંકુલ બે માળ અને કુલ 14 રૂમોનું નિર્માણ કરાયું છે. કીર્તિચંદ્ર સુરીશ્વરજીએ, સંઘની ધર્મ પ્રતિ પ્રતિબદ્ધતા અને સમાજની એકતાને બિરદાવતા સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે સંઘ દ્વારા ચૈત્રી શાશ્વતી ઓળી કરાવવાનો લાભ સાંતલપુરના વિરુબેન છગનલાલ સંઘવી પરિવારે લેવાનો નિર્ણય જાહેર કરાયો હતો. આગળના ચરણમાં સંકુલના દાતાઓ, આર્કિટેક્ટ અને કાર્યકરોનું સંઘના હોદેદારો તથા અગ્રણીઓના હસ્તે સન્માન કરાયું હતું. સવારની નવકારસીનો લાભ દિવાળીબેન મણિલાલ હરચંદ મહેતા પરિવાર, જ્યારે જમણવારનો લાભ જ્યોતિ-કંચન પરિવારે લીધો હતો. કાર્યક્રમમાં મુંબઈ, કચ્છ-વાગડ, અમદાવાદ અને સુરત સહિતના સ્થળોથી આવેલા સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટી અને મંત્રીના નેતૃત્વમાં સહમંત્રી રસિક સંઘવી, ટ્રસ્ટી મંડળ, સમાજના યુવા ગ્રુપના હોદેદારો તથા લાભાર્થી પરિવારોના સભ્યો સહિત સૌએ મહેનત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું મીડિયા સંકલન વી.જી. મહેતાએ કર્યું હતું.
કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ દેશ દેવી મા આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢમાં પરંપરાગત ઉજવાતા ચૈત્રી નવરાત્રી પર્વની ઉજવણીનો આવતીકાલે બુધવારે ઘટસ્થાપનની ધાર્મિક વિધિ સાથે 19/3 ને ગુરૂવારથી નવરાત્રી પર્વનો આરંભ થશે જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. યાત્રાધામ માતાનામઢમાં અશ્વિન નવરાત્રી પર્વની જેમ જ ચૈત્રી નવરાત્રી પર્વની દર વર્ષે પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે. આ નવરાત્રી દરમિયાન અહીં મોટી સંખ્યામાં ભાવિકો મા આશાપુરા માતાજીના દર્શનાર્થે આવે છે. આવતીકાલે તા.18/3 ને બુધવારના રાત્રે 9:00 કલાકે માતાજીના મંદિરમાં મઢ જાગીર અધ્યક્ષ યોગેન્દ્ર સિંહજી રાજા બાવાના હસ્તે ઘટ સ્થાપનની ધાર્મિક વિધિ સાથે 19/3 ને ગુરૂવારથી ચૈત્રી નવરાત્રી પર્વનો આરંભ થશે. આ નવરાત્રી દરમિયાન અહીં આવતા મોટી સંખ્યામાં ભાવિકોને કોઈ અગવડ ન પડે તેમજ સરળતાથી માતાજીના દર્શન ભાવિકો કરી શકે તે માટે જાગીર ટ્રસ્ટ તેમજ મંદિરના પૂજારી સ્ટાફ દ્વારા આયોજન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નવરાત્રી દરમિયાન મંદિર પરિસરમાં માતાજીના ગરબાની સ્થાપના કરી દરરોજ રાત્રે રાસ ગરબા સાથે માતાજીના ગુણગાન ગાવામાં આવશે. ચૈત્રી નવરાત્રી પર્વને લઈને ચૈત્ર સુદ સાતમ તા.25/3 ના રાત્રે 8:15 કલાકે ગાદી પૂજન બાદ 8:30 કલાકે હોમ યજ્ઞ વિધિનો પ્રારંભ થયા બાદ મોડી રાત્રે 12:15 કલાકે બેડું હોમવામાં આવ્યા બાદ માતાજીનું પૂજન અર્ચન સાથે આરતી થશે.
ઘરફોડ ચોરીનો બનાવ:માનકુવામાં ધોળા દિવસે બંધ મકાનમાંથી 4 લાખ રોકડ ચોરાયા
માનકુવાના બાવળવાળી વિસ્તારમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધા રતનબેન મનજી દબાસીયાના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદર રાખેલી 4 લાખ રૂપિયાની માતબર રોકડ રકમ પર હાથ સાફ કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ચકચારી ઘટનાની વિગત મુજબ, ફરિયાદી રતનબેન 16 તારીખના સવારે પોતાના ઘરેથી દીકરીના ઘરે ગયા હતા. આ દરમિયાન સવારના 6:30 વાગ્યાથી બપોરના 12:15 વાગ્યા સુધીના ટૂંકા ગાળામાં તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી અંદર રાખેલા લાકડાના કબાટના દરવાજા તોડી ચોરી કરી હતી. ઘરનો તમામ સામાન વેરવિખેર હતો અને કબાટમાં રાખેલા 4 લાખ રૂપિયા ગાયબ હતા. ચોરાયેલી રકમમાં 3 લાખ રૂપિયા ફરિયાદીએ ગત 2 માર્ચના રોજ ભારાસરની ઇન્ડિયન બેંકમાંથી ઉપાડ્યા હતા, જે તમામ 500ના દરની નોટો હતી. આ સિવાય અન્ય 1 લાખ રૂપિયા 500 અને 200 અને 100ના દરની નોટો સ્વરૂપે કબાટમાં રાખ્યા હતા. તસ્કરો આ તમામ રકમ ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ધોળે દિવસે થયેલી આ ચોરીની ઘટનાને પગલે માનકુવા પોલીસે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લામાં વધી રહેલા ચોરીના બનાવોને પગલે સ્થાનિક રહીશોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
પ્લોટધારકો થયા પરેશાન:સિટી સર્વેની લાંબી પ્રક્રિયા અને ‘ભાડા’ની અનુચિત માંગણીથી પ્લોટધારકો પરેશાન
કચ્છ જિલ્લામાં જ્યાં શહેરી વિકાસ સત્તા મંડળ (UDA) અમલમાં છે તેવા શહેરો તથા આસપાસના લાગુ ગ્રામ્ય વિસ્તારોમાં ઝડપી વિકાસ થઈ રહ્યો છે. આ વિસ્તારોમાં અગાઉ એન.એ. થયેલી જમીનોનું મહેસૂલી રેકોર્ડ સંબંધિત ગ્રામ પંચાયતો પાસે જાળવાતું હતું. પરંતુ હવે આ વિસ્તારોમાં સીટી સર્વે પ્રક્રિયા હાથ ધરાતા તમામ રેવન્યુ રેકોર્ડ સીટી સર્વે વિભાગને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. પરિણામે પ્લોટધારકોને નવી પ્રક્રિયા અનુસાર કાર્યવાહી કરવી પડે, જેમાં અંતિમ દસ્તાવેજ તરીકે પ્રોપર્ટી કાર્ડ જ માન્ય રહે. લાલ બુક કે અન્ય કોઈ દસ્તાવેજોની જરૂર રહેતી નથી હોતી. ભુજ નજીક ગ્રામ્ય વિસ્તારમાં આવેલા પ્લોટમાં બાંધકામની મંજૂરી મેળવતી વખતે અગાઉ રેવન્યુ આધાર તરીકે ‘લાલબુક’ પ્રથા અમલમાં હતી. પરંતુ સીટી સર્વે પ્રક્રિયા બાદ હવે આવા પ્લોટોના રેકોર્ડ નવેસરથી તૈયાર કરવામાં આવે છે. બાંધકામ મંજૂરી માટે ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળની હદમાં આવતા કોઈપણ પ્લોટ ધારકે છ–હક્કપત્રક 8–અ નો ઉતારો કે 7/12 નો ઉતારો આપવાની જરૂર રહેતી હોતી નથી. પ્રોપર્ટી કાર્ડ જ અંતિમ માન્ય દસ્તાવેજ છે. પરંતુ મળતી માહિતી મુજબ લાલબુક કે અન્ય દસ્તાવેજો પણ માંગવામાં આવે છે. પ્રોપર્ટી કાર્ડ માટે સૌપ્રથમ એન.એ. સમયની પ્રથમ એન્ટ્રી નોંધવામાં આવે છે અને ત્યારબાદ કલમ 35-ડી હેઠળ નોટિસ આપવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રથમ એન્ટ્રી સર્ટિફાઇડ થવામાં અંદાજે બે મહિના જેટલો સમય લાગે છે. તે પછી પ્લોટધારકને અગાઉના માલિકોનો સંપર્ક કરીને બાકી કાર્યવાહી પૂર્ણ કરવી પડે છે. ત્યારબાદ પ્લોટના તમામ ઉત્તરોત્તર થયેલા વેચાણ વ્યવહારોની એક-એક ટ્રાન્જેક્શન ચકાસણી કરવાની પ્રક્રિયા શરૂ થાય છે, જેમાં દરેક વ્યવહાર ક્લિયર થવામાં લગભગ 45 દિવસ જેટલો સમય લાગી જાય છે. આ રીતે એક જ પ્લોટના સીટી સર્વે રેકોર્ડ સંપૂર્ણ રીતે ક્લિયર થઈ તેની સનદ અને પ્રોપર્ટી કાર્ડ તૈયાર થવામાં સરેરાશ 6 થી 8 મહિના જેટલો સમય લાગી જાય છે. આ લાંબી અને જટિલ પ્રક્રિયા દરમિયાન પોતાના પ્લોટમાં ઘર બાંધવા ઇચ્છતા નાગરિકોને આર્થિક તેમજ માનસિક તણાવનો સામનો કરવો પડે છે. જીવનમાં એકવાર પોતાનું ઘર બનાવવાનો સ્વપ્ન જોનારા સામાન્ય લોકો માટે આ પ્રક્રિયા ઘણી વખત ભારે બની રહે છે. આથી રેવન્યુ ટાઇટલ ક્લિયર પ્લોટોના સીટી સર્વેની પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવામાં આવે તેવી માંગ સાથે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. લોકોનો મત છે કે સરકાર પારદર્શક, સરળ અને ઝડપી શાસન પ્રણાલી તરફ આગળ વધી રહી છે, ત્યારે સંબંધિત અધિકારીઓએ પણ હાલની જટિલ પ્રક્રિયાને સરળ બનાવવાનો વિચાર કરવો જોઈએ. આ બાબતે યોગ્ય અને તાત્કાલિક નિર્ણય લેવામાં આવે તો અરજદારોને રાહત મળશે અને સરકારી કચેરીઓ પરનો ભાર પણ ઘટશે.
હેલ્થ ઓફિસર કેડર સાથે અન્યાયી વ્યવહાર:જિલ્લાના કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો ત્રણ મહિનાથી પગારથી વંચિત
એશિયાના સૌથી મોટા ભૌગોલિક વિસ્તાર ધરાવતા સરહદી કચ્છમાં આરોગ્ય વિભાગના 500 કર્મચારીની આંતરીક સામૂહિક બદલીનો મુદ્દો હજીય ચર્ચામાં છે. ખાસ કરીને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર કેડર સાથે અન્યાયી અને વ્યવહાર કરાયો હોવાનો આક્ષેપ કરાયો છે. આ કર્મચારીઓ છેલ્લા 3 મહિનાથી પગારથી વંચિત છે, જેની પાછળ આરોગ્ય તંત્ર જવાબદાર હોવાનું કર્મચારીઓનું કહેવું છે. અંતરિયાળ વિસ્તારોમાં કાર્યરત સીએચઓ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ ઠોસ કારણ વગર બદલીના આદેશમાં ફેરવિચારણાની માંગણીને ફગાવી દેવાઇ છે. ચૂંટાયેલા હોદ્દેદારો દ્વારા સૂચના અપાઈ છતાં અધિકારીઓ દ્વારા તેમને પણ ગોળ-ગોળ ફેરવવામાં આવી રહ્યા છે. વહીવટી વિલંબને કારણે આગામી ચૂંટણીમાં અસંતોષ ઊભો થાય તો નવાઇ નહીં. ઓલ ઇન્ડિયા એસોસિએશન ઓફ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા અગાઉ આવેદનપત્ર અપાયું ત્યારે લેખિતમાં ચીમકી અપાઈ હતી કે, જો રજૂઆતોનું નિરાકરણ નહીં આવે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી કાનૂની માર્ગ અપનાવવા મજબૂર બનશે. સીએચઓ કેડર દ્વારા બદલીના મૂળ આદેશો રદ કરીને તેઓને ફરી તે જગ્યાએ મૂકવામાં આવે અથવા તો નજીકની જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવે તેવી માંગ રાખવામાં આવી છે. મહત્વનું છે કે, આરોગ્ય વિભાગના 400 કર્મચારીની બદલી થઈ તે પૈકી ઘણાની માંગણીના આધારે આંતરિક બદલી થઈ છે.
માર્ગ વિસ્તૃતિકરણનું કામ હાથ ધરાશે:નળ સર્કલથી શેખપીર સુધી દબાણ દૂર કરાશે
ભુજને ફરતે પસાર થતાં રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો તેમજ નગરપાલિકાના માર્ગોનું વિસ્તૃતિકરણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. ભારે વાહનોની સતત અવરજવર અને વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને માર્ગો પહોળા કરવાની કામગીરી અત્યંત જરૂરી બની છે. ખાસ કરીને નાગોર રેલવે ઓવરબ્રિજથી શેખપીર વચ્ચેનો અંદાજે આઠ કિલોમીટરનો માર્ગ લાંબા સમયથી સાંકળો રહેતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ માર્ગ કયા વિભાગના અધિકારમાં આવે છે તે બાબતે લાંબા સમયથી અનિશ્ચિતતા હતી. જેના કારણે માર્ગ પહોળો કરવાની કામગીરીમાં પણ વિલંબ થયો હતો. હવે આ મુદ્દે સ્પષ્ટતા થતાં ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ (GSRDC) દ્વારા કામગીરી હાથ ધરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. નળ સર્કલથી શેખપીર સુધીના માર્ગને પહોળો બનાવવા માટેની પ્રક્રિયા અંતર્ગત ટૂંક સમયમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ બાબતે જીએસઆરડીસીના નાયબ કાર્યપાલક ઇજનેર રાજેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે માર્ગ પહોળા કરવાની કામગીરી માટે હાલ પ્રાથમિક તબક્કે માર્કિંગ કરવામાં આવ્યું છે. માર્ગની હદથી લઈને કેન્દ્રબિંદુ સુધી જે સ્થળોએ દબાણ આવેલું હશે તે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જોકે આ કામગીરી ક્યારે શરૂ થશે તે અંગે હજુ ચોક્કસ સમયરેખા જાહેર કરવામાં આવી નથી, પરંતુ માર્ગ પહોળો કરવાની પ્રક્રિયા હાથ ધરાશે તે નિશ્ચિત હોવાનું તેમણે જણાવ્યું હતું. માધાપર પોલીસ ચોકી નજીક વીરાંગના પાર્ક માર્ગ પાસે આવેલા પુલને પણ પહોળો કરવાની જરૂરિયાત ઉભી થઈ છે. આ કામગીરી માટે કેટલીક અડચણો પણ સામે આવી શકે છે. ખાસ કરીને માર્ગને અડીને આવેલા રહેણાંક મકાનો અંગે શું નિર્ણય લેવાશે તે બાબત મહત્વપૂર્ણ બનશે. જો આ મકાનોને અસર થાય તો તેને તોડવા કે અન્ય વિકલ્પ અપનાવવા અંગે વિચારણા કરવી પડશે. ઉલ્લેખનીય છે કે ભુજથી ભીમાસર અને ભુજ ધર્મશાળા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું વિસ્તૃતિકરણ મોટાભાગનું પૂર્ણ થઈ ગયું છે. તેમ છતાં જીએસઆરડીસીના અધિકારમાં આવતો આ આઠ કિલોમીટરનો માર્ગ ઘણા સમયથી વિકાસથી વંચિત રહ્યો છે. હવે ટૂંક સમયમાં આ માર્ગના વિસ્તૃતિકરણ અંગે નિર્ણય લેવાશે તેવી આશા છે. માર્ગ પહોળો કરવાના કારણોસર જીએસઆરડીસી દ્વારા હાલ પ્રાથમિક તબક્કે માર્કિંગ કરવામાં આવ્યું છે ભાસ્કર ઈનસાઈડમાર્ગના કેન્દ્રથી 15 મીટર સુધી દબાણો હટાવાશેસામાન્ય રીતે માર્ગના કેન્દ્રથી 60 મીટર સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગની જમીન વિસ્તૃત કરવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવો નિયમ છે. પરંતુ હાલ રાજ્ય ધોરી માર્ગને નળ સર્કલથી શેખપીર સુધી કેન્દ્રથી 15 મીટર સુધીના અન અધિકૃત બાંધકામો દૂર કરવામાં આવશે. આ માટે અન્ય પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે. સરકારી જમીન પર સંબંધિત બાંધકામ કરનારને નોટિસો પણ અપાઈ ગઈ છે.
કચ્છના સરહદી વિસ્તારોમાં ઉનાળાની આકરી ગરમી અને રણની વિષમ પરિસ્થિતિઓ વચ્ચે દેશની રક્ષા કરતા સીમા સુરક્ષા દળના જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે એક સરાહનીય કાર્યક્રમ યોજાયો હતો. માધાપર જખબૌતેરા સંઘના અગ્રણી પ્રવીણ નંદુ અને આરતી ફાઉન્ડેશનના સહયોગથી BSF ની 90મી બટાલિયનને વિવિધ જીવનજરૂરી ઉપકરણો અર્પણ કરવામાં આવ્યા હતા. જખ મંદિરના પ્રાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં આસિસ્ટન્ટ કમાન્ડર પરમેશકુમાર અને અન્ય જવાનોની ઉપસ્થિતિમાં 2 એરકન્ડિશનર, 3 વોટર કૂલર, 4 વોટર ડિસ્પેન્સર, 2 ટીવી, ફ્રિજ, સાઉન્ડ સિસ્ટમ તેમજ ડાઇનિંગ ટેબલ અને ખુરશીઓ જેવી સામગ્રી ભેટ આપવામાં આવી હતી. આ સાધનો આરતી ફાઉન્ડેશનના સી.એસ.આર. ડાયરેક્ટર લાલ રાંભિયા, ટ્રસ્ટી નરેશ શાહ, મેનેજર પ્રવીણ સોની અને હિતેશ ગજ્જરના હસ્તે સુપરત કરવામાં આવ્યા હતા. આ તકે લાલ રાંભિયાએ લાગણીસભર શબ્દોમાં જણાવ્યું હતું કે, “અમે તો માત્ર ભૌતિક સાધનો આપી શકીએ છીએ, પરંતુ જવાનો જે રીતે પોતાના જીવના જોખમે આપણી રક્ષા કરે છે તેનું મૂલ્ય અમૂલ્ય છે.” આ સહયોગ બદલ આભાર માનતા આસિસ્ટન્ટ કમાન્ડર પરમેશકુમારે જણાવ્યું કે, આવી સુવિધાઓથી સરહદ પર તૈનાત સંત્રીઓની સુવિધામાં વધારો થશે. કાર્યક્રમ દરમિયાન મહેમાનોએ જખ મંદિરની મુલાકાત લીધી હતી, જ્યાં દીવાલો પર અંકિત ભારત રત્ન વિભૂતિઓ અને પરમવીર ચક્ર વિજેતાઓના ચિત્રો જોઈને કમાન્ડરે પ્રશંસા કરી હતી. આગામી સમયમાં અહીં રમતગમત સંકુલ અને મલ્ટીપર્પઝ હોલના નિર્માણ અંગે પણ હકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી.
ગેરકાયદેસર ખનન:વીડીમાં ગેરકાયદે હાર્ડમોરમ ખનન કરતું મશીન ઝડપાયું
ફ્લાઈંગ સ્ક્વોર્ડ દ્વારા અંજાર તાલુકાના વીડી વિસ્તારમાં આકસ્મિક તપાસ દરમ્યાન ખનિજચોરી ઝડપી લેવામાં આવી હતી. વીડી સીમમાં સરકારી નિયમોના લીરેલીરા ઉડાવી હાર્ડ-મોરમ ખનિજનું ગેરકાયદે ખનન ચાલી રહ્યું છે તેવી બાતમીના આધારે ટીમ દ્વારા ઓચિંતું ચેકિંગ કરાતા સ્થળેથી એસ્કેવેટર મશીન બિનઅધિકૃત રીતે ખોદકામ કરતું મળી આવ્યું હતું. તપાસ ટીમે આ મશીનને જપ્ત કરી લીધું હતું. જપ્ત કરાયેલ 50 લાખના એસ્કેવેટર મશીનને અંજાર ખાતે આવેલી VNS લીઝની કસ્ટડીમાં સોંપવામાં આવ્યું છે.
ભુજ, કેરા, આદિપુર સહિતના કુખ્યાત બુટલેગરોએ મગાવેલો રૂ.78.95 લાખનો વિદેશી દારૂ ચોખાની આડમાં તેમના સુધી પહોંચે તે પહેલાં આડેસર ચેકપોસ્ટ પાસે બાતમીના આધારે દારૂના મોટા જથ્થા સાથે બે જણાને પકડી ખેપ નાકામ કરી હતી. પોલીસે રોકડ, ચોખાના કટ્ટા, વાહન સહિત કુલ રૂ.1.11 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી આ જથ્થો મોકલનાર અને મગાવનાર સહિત 10 સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી. આડેસર પીઆઇ વી.એ.સેંગલે જણાવ્યું હતું કે, વધી રહેલી દારૂની હેરાફેરી વચ્ચે આ બદી નેસ્ત નાબૂદ કરવાની પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમારે આપેલી સૂચના મુજબ ટીમ સાથે આડેસર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાને તેમને મળેલી બાતમી મુજબની હરિયાણા પાસિંગની ટ્રક આવતા તેને રોકી તલાશી લેતા ચોખાના કટ્ટાની આડમાં સંતાડેલો દારૂનો જથ્થો મળી આવતા પોલીસે રૂ.78,95,000 ના મુલ્યના વિદેશી શરાબની 4,632 મોટી બોટલો અને 7,680 ક્વાર્ટરિયા સાથે હરિયાણાના નુરદિન મગતુ ડુમ (મીરાસી) અને શ્રીભગવાન ઉદેસિંગ ચમારને પકડી લઇ વાહન, રૂ.7.09 લાખની કિંમતના ચોખાના 622 કટ્ટા, મોબાઇલ અને રોકડ સહિત કુલ રૂ.1 કરોડ 11 લાખ 14 હજાર 330 નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલા આરોપીઓની પુછપરછ કરાઇ હતી. માલ મોકલનાર અને મગાવનાર આરોપીઓ
મહામૂલા જળનો થયો વેડફાટ:સ્મૃતિવન પાસે નર્મદાની લાઈનમાં એકાએક ભંગાણ પડતા હજારો લિટર પાણી વેડફાયું
શહેરને નર્મદાનું પાણી પહોંચાડતી મુખ્ય પાઇપલાઇનમાં સોમવારે બપોરે ભંગાણ પડતાં હજારો લિટર પાણી વેડફાઈ જવાની ઘટના બની હતી. શહેર નજીક સ્મૃતિવન વિસ્તારમાં માર્ગ વિસ્તરણનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આ ઘટના સર્જાઈ હતી. માહિતી મુજબ કુકમા તરફથી ભુજમાં આવતી નર્મદા પાણીની બે મુખ્ય લાઇનોમાંથી 500 એમએમ વ્યાસની એક પાઇપલાઇન અચાનક તૂટી ગઈ હતી. આ ઘટના બનતાં પાણીનો ફુવારો આશરે 30 થી 40 ફૂટ સુધી ઊડી રહ્યો હતો, જેના કારણે થોડા સમય માટે આસપાસના માર્ગ પર પાણીનો પ્રવાહ ફેલાયો હતો અને માર્ગના કામમાં પણ અવરોધ સર્જાયો હતો. પાણીનો ભારે વેડફાટ થતો હોવાથી તાત્કાલિક સંબંધિત વિભાગને જાણ કરવામાં આવી હતી. આ અંગે ભુજ નગરપાલિકાની પાણી સમિતિના પૂર્વ ચેરમેન સંજય ઠક્કરે જણાવ્યું હતું કે ઉનાળામાં શહેરને પૂરતું પાણી મળી રહે તે માટે હાલમાં 900 એમએમ વ્યાસની નવી પાઇપલાઇન પણ નાખવામાં આવી છે. પરંતુ સોમવારે જે ભંગાણ પડ્યું તે જૂની 500 એમએમ પાઇપલાઇનમાં થયું હતું. પાઇપ તૂટવાની જાણ થતા જ નગરપાલિકાના પાણી વિભાગનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને પાણીનો સપ્લાય થોડા સમય માટે બંધ કરી તાબડતોબ રીપેરીંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. ઝડપી કામગીરીના કારણે સાંજ સુધીમાં પાઇપલાઇનનું રીપેરીંગ પૂર્ણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ફરીથી ભુજ શહેરમાં પાણીનો પુરવઠો નિયમિત રીતે શરૂ કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ માર્ગ કામ દરમિયાન જરૂરી તકેદારી રાખવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો જેથી આવનારા સમયમાં આવી ઘટનાઓ ટાળી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉનાળા દરમ્યાન શહેરમાં પાણીની ખપત નોંધપાત્ર રીતે વધતી હોય છે. એવામાં આ પ્રકારના ભંગાણથી વિતરણ વ્યવસ્થા પર પણ અસર પડે છે. મહામૂલા જળનો વેડફાટ : સ્મૃતિવન પાસે માર્ગ વિસ્તરણના કામ દરમ્યાન પાણીની લાઇનમાં ભંગાણ પડતા 30 થી 40 ફુટ જેટલો ઉંચો ફુવારો ઉડ્યો હતો.
ક્રાઇમબ્રાંચની કાર્યવાહી:મકરપુરામાં વેપારીના રૂા.2 લાખ સેરવીને ભાગી ગયેલા સુરતના 2 ગઠિયા ઝડપાયા
મકરપુરા જીઆઈડીસીની યુનિયન બેંક ઓફ ઈન્ડિયા બ્રાંચની બહાર સ્ક્રેપના વેપારીને વાતોમાં ભેળવીને રૂા. 2 લાખ સેરવી લેનારા સુરતના બે ગઠિયાઓની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાંચના ડીસીપી અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે,માંજલપુર ખાતે રહેતા મેરાજઅલી ઈદરીસઅલી શેખ મકરપુરા જીઆઇડીસીમાં સ્ક્રેપનો ધંધો કરે છે. 13 માર્ચના રોજ બપોરે 12 થી 12:30 વાગ્યા દરમિયાન મકરપુરા જીઆઈડીસી સ્થિત યુનિયન બેંક ઓફ ઈન્ડિયા ખાતે બે અજાણ્યા ઈસમો બેંકમાં આવીને વેપારીને નાસ્તો કરવાના બહાને બેંકની બહાર લઈ જઈને વાતોમાં ભેરવીને થેલીમાંથી રૂા.2 લાખની ચોરી કરી હતી. જે અંગે માંજલપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ ઘટના બાદ ક્રાઈમ બ્રાંચે સીસીટીવી ફુટેજ તપાસ્યાં હતાં. દરમિયાન બેંક પાસે રાજસ્થાન પાસીંગની મારૂતી બલેનો કાર અને તેમાં બેઠેલા બે યુવકો શંકાસ્પદ જણાયા હતાં. દરમિયાન પોલીસે દંતેશ્વર તળાવ સામેથી કારને રોકીને તેમાં સવાર સાજીદખાન પઠાણ અને આયુષ મિશ્રાની ધરપકડ કરી હતી. આ બંને યુવકો અગાઉ પણ લોકોને છેતર્યાં હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. આરોપીઓ પાસેથી પોલીસને રૂા. 80 હજાર રોકડ, મોબાઈલ ફોન અને બલેનો કાર મળી રૂા.6.80 લાખની મત્તા કબજે કરી હતી. યુવકો બીજા બે આરોપીઓ સાથે મળીને ઘટનાના દિવસે સુરતથી બલેનો કારમાં વડોદરા આવ્યાં હતાં. આરોપીઓ સાત મહિના પહેલા પોતાના સાગરીત સંજયસીંગ અને દિપક ધોબી સાથે મળીને સંજયસીંગની સ્વિફ્ટ કારમાં સવાર થઈને બનારસ,આઝમગઢ ખાતે પણ છેતરપીંડી કરી ચુક્યાં છે. આરોપી બેંકમાં આવતા નાગરિકોની રેકી કરતા હતાઆરોપીઓ બેંકમાં આવતા નાગરિકોની રેકી કરતા હતાં. દરમિયાન ભોગ બનનારને વાતોમાં પરોવીને તેમની પાસે બે નંબરના રૂપિયા છે અને તેઓ બહારના રાજ્યના હોવાથી બેંકમાં પૈસા જમા કરાવવા મદદની જરૂર છે, તેમ જણાવતા હતાં. ત્યારબાદ નાસ્તો કરાવવાના બહાને બેંકની બહાર લઈ જઈ, ચેક્સ કલરના રૂમાલમાં બાંધેલું કાગળનું બંડલ બતાવતા, જેના પર 500 રૂપિયાની માત્ર એક જ અસલ નોટ મુકતા હતાં. આ બંડલ પકડાવી તેઓ નજર ચૂકવીને ભોગ બનનારની થેલીમાંથી રૂપિયા કાઢી લેતા હતા.
19 માર્ચના રોજ ચૈત્રી નવરાત્રી સાથે ઉત્તરવાહીની નર્મદા પરીક્રમાની પણ શરૂઆત થઈ રહી છે. નર્મદા પરિક્રમામાં પહેલી વખત રાજ્ય સરકાર દ્વારા પોલીસ બૂથ, સુરક્ષા કેબિન અને વૉચ ટાવર ઉભા કરીને ક્રાઉડ મેનેજમેન્ટ કરવામાં આવશે. ઉપરાંત તાલીમબદ્ધ સુરક્ષા કર્મચારીઓ અનેક શિફ્ટોમાં ફરજ બજાવશે. ભીડને નિયંત્રિત કરવા માટે વિવિધ પ્રકારની બેરિકેડિંગ વ્યવસ્થા તથા ઇન્ફ્રારેડ અને રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન (આરએફઆઈડી) આધારિત હેડ કાઉન્ટ સિસ્ટમ દ્વારા યાત્રાળુઓની અવર-જવર પર આધુનિક ટેક્નોલોજી દ્વારા નજર રાખવામાં આવશે. આ વર્ષે ફાગણ વદ અમાસ 19 માર્ચથી ચૈત્ર વદ અમાસ 17 એપ્રિલ 2026 સુધી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા ચાલશે.જેમાં શ્રદ્ધા, સુરક્ષા અને સુવિધા ત્રણેયનો સુમેળ જોવા મળશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પરિક્રમા કરનારા હજારો શ્રધ્ધાળુઓની સુવિધા માટે અંદાજે રૂ. 10 કરોડના ખર્ચે હંગામી તેમજ કાયમી માળખાકીય વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, ઉત્તરવાહીની નર્મદા પરિક્રમામાં વડોદરા શહેર-જિલ્લા ઉપરાંત ગુજરાત,રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી પણ લાખો લોકો જોડાય છે. છેલ્લા ત્રણેક વર્ષોમાં લોકોની ભારે ભીડને જોઈને રાજ્ય સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પરિક્રમાને લગતી સુવિધાઓ માં વધારો કરી રહી છે. મહત્વનું છે કે, પરિક્રમા દરમિયાન નર્મદા નદીને બે વખત પાર કરવાની હોય છે. જેમાં બે વર્ષ પહેલા અસુવિધાના કારણે ઘણા પરિક્રમાવાસીઓ પોતાની પરિક્રમા પુરી કરી શક્યાં ન હતાં. જે બાદથી જ સરકાર દ્વારા હંગામી બ્રિજ બનાવી સુવિધા આપી રહી છે. શ્રદ્ધાળુઓ માટે રૂા.5.41 કરોડના ખર્ચે આ હંગામી વ્યવસ્થાઓ કરાઈ યાત્રાધામ બોર્ડ દ્વારા ભક્તો માટે રૂા. 5.07 કરોડના ખર્ચે કાયમી સુવિધાઓ તૈયાર કરાઈયાત્રાધામ બોર્ડ દ્વારા નર્મદા પરિક્રમાર્થીઓ માટે અત્યાર સુધી કુલ રૂ. 5.07 કરોડના ખર્ચે કાયમી સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં મઢી દેવસ્થાન ખાતે લગભગ રૂ. 99.68 લાખના ખર્ચે પેવર બ્લોક પાથવે, સુવિધા કેન્દ્ર, પીવાના પાણીનો ટાંકો, સોલાર લાઇટ અને શૌચાલય બ્લોક તૈયાર કરાયા છે. સિદ્ધટેકરી રામ કુંડ ખાતે રૂ. 226.93 લાખના કામો હેઠળ રિટેનિંગ વોલ, પરિક્રમાર્થી સુવિધા કેન્દ્ર, શૌચાલય, પીવાનું પાણી, યાત્રી નિવાસનું નવીનીકરણ, શેડ, ઇલેક્ટ્રિફિકેશન, બોરવેલ, સોલાર લાઇટ તથા ડ્રેનેજ સિસ્ટમનું નિર્માણ તેમજ બલબલા કુંડ ખાતે લગભગ રૂ. 149.87 લાખના ખર્ચે પરિક્રમાર્થી સુવિધા કેન્દ્ર, શૌચાલય, પીવાનું પાણી, ઇલેક્ટ્રિફિકેશન અને પાથવે જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ડીડીઓ દ્વારા અપાઈ વિવિધ કામોની માહિતી:5 વર્ષમાં ICDS શાખા દ્વારા 170 આંગણવાડી મંજૂર કરાઈ
વડોદરા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની ટર્મ 16 માર્ચના રોજ પુરી થતાં તમામ સભ્યોનો સ્નેહ મિલન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં પાંચ વર્ષ દરમિયાન જિલ્લા પંચાયત દ્વારા કરાયેલા કામોની માહિતી આપવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, જિલ્લા પંચાયતની ચૂંટણી વર્ષ 2021માં યોજાઈ હતી. જેમાં ભાજપના 27 અને કોંગ્રેસના 7 સભ્યો ચૂંટાઈ આવ્યાં હતાં. જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરાએ પાંચ વર્ષ દરમિયાન જિલ્લા પંચાયતની વિવિધ શાખા દ્વારા કરવામાં આવેલા કામોની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પંચાયતના સિંચાઈ વિભાગ દ્વારા 8 કરોડના ખર્ચે 106 કામ કરવામાં આવ્યા છે. બાંધકામ શાખા દ્વારા 844 કરોડના ખર્ચે 559 કામ પૂર્ણ કરાયા છે. આયુર્વેદિક શાખા દ્વારા 8,72,810 લાભાર્થીને સારવાર આપવામાં આવી. ICDS શાખા દ્વારા 19.98 કરોડના ખર્ચે 170 આંગણવાડી મંજૂર કરાઈ છે. શિક્ષણ શાખા દ્વારા 52.26 કરોડના ખર્ચે 291 શાળાઓનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. પશુપાલન શાખા દ્વારા 16 કરોડના લાભ આપવામાં આવ્યાં છે. વિકાસ શાખા દ્વારા 440 કરોડની ગ્રાન્ટ જેમાંથી 365 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. બાકીના કામ પ્રગતિ હેઠળ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 5 કરોડના ખર્ચે 30 એમ્બ્યુલન્સ ખરીદાઈ હતી. ખેતીવાડી શાખા દ્વારા 34.80 કરોડની સહાય ટ્રેક્ટર ખરીદવા આપવામાં આવી છે.
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધ વચ્ચે લાખો ગુજરાતીઓ ગલ્ફ દેશોમાં ફસાયા છે, ત્યારે વડોદરાના સંદીપ પટેલ કંપનીના કામથી બહેરીન ગયા હતા અને 15 દિવસે પરત ફર્યા છે. સંદીપભાઈ બહેરીનમાં 12 દિવસ રોકાયા હતા અને ત્યાંની ભયાવહતા દિવ્ય ભાસ્કર સમક્ષ રજૂ કરી હતી. તેમણે કહ્યું કે, મારી જિંદગીના આ 12 દિવસ હું ક્યારે નહીં ભૂલી શકું. આ 12 દિવસ હું એકપણ રાત ઊંઘી શક્યો નહોતો. જ્યારે પણ ઊંઘવાનો પ્રયત્ન કરૂં ત્યારે જ મિસાઈલોના ઇન્ટરસેપ્ટ થવાનો ભયાનક અવાજ સંભળાતો અને ઊંઘ ઉડી જતી. મને હતું જ નહીં કે હું જીવતો ભારત પરત આવીશ. મારી કંપનીએ મને પરત લાવવા તમામ પ્રયાસ કર્યા અને ઘરે પરત લાવી, બાકી ભારત સરકારે કોઈ પ્રયાસો કર્યા નહીં. મારી સાંજની ફ્લાઈટ હતી ને સવારે મિસાઈલ હુમલો થયોવડોદરાના સંદીપ પટેલે જણાવ્યું હતું કે, ગત 25 ફેબ્રુઆરીના રોજ હું જ્યાં કામ કરું છું, એ કંપનીના કામ માટે બહેરીન ગયો હતો. મારું કામ 28 ફેબ્રુઆરીએ પૂરું થઈ ગયું હતું અને તે જ દિવસે સાંજે 5:30ની મારી પરત આવવાની ફ્લાઈટ હતી, પરંતુ તે દિવસે સવારે 10:30 વાગ્યાથી જ અમેરિકા અને ઈરાન વચ્ચે મિસાઈલ હુમલા શરૂ થઈ ગયા હતા. બહેરીનમાં અમેરિકાનો નેવી બેઝ હોવાથી ઈરાને ત્યાં મિસાઈલ છોડી હતી, જેના કારણે આખું વાતાવરણ બદલાઈ ગયું હતું અને મારી સાંજની ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ હતી. મારી હોટલથી માત્ર 200 મીટરના અંતરે અમેરિકન નેવી બેઝહું જે હોટલમાં રોકાયો હતો, તેનાથી માત્ર 150થી 200 મીટરના અંતરે જ અમેરિકન નેવી બેઝ હતો. મિસાઈલ હુમલાને કારણે અમારી હોટલની બારીઓના કાચ પણ તૂટી ગયા હતા. પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે હોટલવાળાઓએ અમને તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા હતા અને અમે એક રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટમાં આશરો લીધો હતો. મેં ઇન્ડિયન એમ્બેસીમાં ફોન કર્યો પણ કોઈ પ્રતિસાદ ન મળ્યોમેં 28 ફેબ્રુઆરીથી લઈને 11 માર્ચ સુધી સતત પ્રયત્નો કર્યા હતા. મેં ઈન્ડિયન એમ્બેસીને ફોન કર્યા અને મેઈલ પણ કર્યા પણ દુઃખ સાથે કહેવું પડે છે કે, ભારત સરકાર કે એમ્બેસી તરફથી મને કોઈ જ પ્રતિસાદ મળ્યો નથી. તેઓ ફક્ત 'સુરક્ષિત રહો' તેમ કહીને વાત ટાળતા હતા. બહેરીનથી ભારત આવવા માટે સરકારે કોઈ ફ્લાઈટની વ્યવસ્થા કરી નહોતી. 'મને બહેરીનથી સઉદી અરેબિયા બાય રોડ મોકલ્યો'આ મુશ્કેલીના સમયમાં મારી કંપની અને મારા મેનેજરોએ મને ખૂબ સપોર્ટ કર્યો. તેમણે જોખમ ઉઠાવીને મને બહેરીનથી સઉદી અરેબિયા બાય રોડ મોકલ્યો. પહેલા હું સાઉદી અરેબિયાના દમ્મામ પહોંચ્યો અને પછી જેદ્દાહ પહોંચ્યો હતો. જેદ્દાહમાં પણ ફ્લાઈટ હાઉસફૂલ હોવાથી મારે 3 દિવસ હોટલમાં રોકાવું પડ્યું. અંતે જેદ્દાહથી મુંબઈ અને ત્યાંથી અમદાવાદ અને હવે હું વડોદરા મારા ઘરે પહોંચ્યો છું. '12 દિવસ હું એક પણ રાત ઊંઘી શક્યો નથી'તેઓએ વેદના સાથે કહ્યું કે, મારી જિંદગીના આ 12 દિવસને હું ક્યારેય નહીં ભૂલી શકું. આ 12 દિવસ દરમિયાન હું એક પણ રાત ઊંઘી શક્યો નથી. જ્યારે ઊંઘવાનો પ્રયત્ન કરું, ત્યારે જ મિસાઈલોના ઇન્ટરસેપ્ટ થવાનો એટલો ભયાનક અવાજ આવે કે ઊંઘ ઉડી જાય. ત્યાં ડરનું વાતાવરણ એટલું બધું હતું કે લોકો હોટલ અને એપાર્ટમેન્ટ્સ છોડીને બહાર નીકળી જતા હતા. અમે પણ હોટેલ છોડીને ભાગ્યા હતા. ઈરાન ડ્રોન દ્વારા હોટલ અને એપાર્ટમેન્ટ્સને ટાર્ગેટ કરતા હતા. 'મારી નજર સામે એક બિલ્ડિંગ પર ડ્રોન પડ્યું'મેં મારી નજર સામે જોયું છે કે મારી હોટલથી માત્ર 50-60 મીટર દૂર આવેલી એક બિલ્ડિંગના ઉપરના માળે ડ્રોન પડ્યું અને આખેઆખો ફ્લોર ખતમ થઈ ગયો હતો. તેઓ ખાસ કરીને ઇઝરાયેલ અને અમેરિકાના નાગરિકો જ્યાં રોકાયા હોય, તે સ્થળને ટાર્ગેટ કરતા હતા, પણ એમાં નિર્દોષ ઇન્ડિયન, પાકિસ્તાની, નેપાલી અને બંગાળી ભાઈઓ પણ ભોગ બનતા હતા. 'મનમાં એક જ વિચાર આવતો જીવતો ભારત પાછો નહીં જઈ શકાય'મેં મારી નજર સામે લગભગ 70થી 80 મિસાઈલો અને 20થી 25 ડ્રોન જોયા હતા. મિસાઈલોને ઘણીવાર હવામાં જ તોડી પાડવામાં આવતી, પણ ડ્રોન મોટાભાગે બિલ્ડિંગો પર જઈને ફૂટતા હતા. એક હોટલ પર પણ હુમલો થયો હતો, જેમાં ઘણું નુકસાન થયું હતું. મનમાં એક જ વિચાર આવતો કે કદાચ હવે જીવતા ભારત પાછા નહીં જઈ શકાય. પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે ગમે ત્યારે ગમે તે થઈ શકતું હતું. 'વડોદરાના સાંસદને અમે વિગતો મોકલી પણ મદદના નામે શૂન્ય'અમે ઇન્ડિયન એમ્બેસીનો વારંવાર સંપર્ક કર્યો, પણ ત્યાંથી કોઈ સંતોષકારક જવાબ મળતો નહોતો. વડોદરાના સાંસદને પણ અમે વિઝા અને પાસપોર્ટની વિગતો મોકલી હતી, પણ મદદના નામે શૂન્ય હતું. બહેરીનમાં એક વાત સારી હતી કે, આવી પરિસ્થિતિમાં પણ ખાવા-પીવાની કોઈ તકલીફ નહોતી પડી. ગ્રોસરી અને પાણીની બોટલો અમે ઓનલાઇન ઓર્ડર કરતા અને તેઓ ઘરે આવીને સપ્લાય કરી જતા. કોઈએ ભાવ વધારો પણ કર્યો નહોતો, જે ઘણી રાહતની વાત હતી. 'અત્યારે ફ્લાઈટની ટિકિટના ભાવ ખૂબ વધી ગયા'બહેરીનમાં લગભગ 4 લાખ ભારતીયો છે, જેમાંથી અંદાજે 30% ગુજરાતીઓ છે. મોટાભાગના લોકો રિફાઈનરીઓમાં કામ કરે છે. તેઓ પાછા આવવા માંગે છે, પણ અત્યારે ફ્લાઈટની ટિકિટના ભાવ ખૂબ વધી ગયા છે. એક ટિકિટ 280 દિનાર (લગભગ 60,000 રૂપિયા)ની મળે છે. જો 4 સભ્યોનો પરિવાર હોય, તો 3 લાખ રૂપિયા તો ફક્ત ટિકિટમાં જ જતા રહે. આટલા પૈસા લાવવા ક્યાંથી? એ મુખ્ય પ્રશ્ન છે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
જરા વિચાર કરો કે તમે એક દેશથી બીજા દેશમાં જઇ રહ્યાં છો અને વચ્ચે કોઇ અજાણી જગ્યાએ તમે ફસાઇ જાઓ. જ્યાં આસપાસ યુદ્ધ ચાલતું હોય, દરેક જગ્યાએ અજાણ્યા ચહેરા હોય. ક્યાં જવું? ક્યાં રહેવું? ક્યાંક આપણે તો યુદ્ધનો ભોગ નહીં બની જઇએને? આવા સવાલો મનમાં ઉઠવા લાગે. અચાનક જો તમારી સામે આવી પરિસ્થિતિ આવી પડે તો શું થાય? કંઇક આવું જ થયું છે અમેરિકાથી ગુજરાત આવી રહેલા ગુજરાતીઓ સાથે. રોબિન્સવિલેમાં રહેતા ગુજરાતીઓનું એક ગ્રુપ અમદાવાદ આવવા નીકળ્યું હતું પણ મિડલ ઇસ્ટમાં ફાટી નીકળેલા યુદ્ધના કારણે તેઓ કુવૈતમાં ફસાઇ ગયા. ગ્રુપમાં બાળકો, વૃદ્ધોની સાથોસાથ મહિલાઓ પણ હતી. તેમને ગુજરાત પહોંચી શકવાની કોઇ આશા નહોતી પણ અબુધાબીના BAPS મંદિર અને તેના સંત બ્રહ્મવિહારી સ્વામીની મદદથી આ ગ્રુપ ચોતરફ હુમલા વચ્ચે બે દેશોની બોર્ડર પાર કરીને સુરક્ષિત રીતે અમદાવાદ પહોંચી ગયું છે. દિવ્ય ભાસ્કરે આ ગુજરાતીઓ અને બ્રહ્મવિહારી સ્વામી સાથે ખાસ વાતચીત કરીને આખા ઘટનાક્રમ વિશે માહિતી મેળવી હતી. ક્યાંયથી મદદ મળે તેવું નહોતુંદિલીપ પટેલ, કિરણ પટેલ, પૂર્વી પટેલ, સોનલ ભગત, દર્શન ભગત સહિતના લોક અમદાવાદ આવી રહ્યાં હતા ત્યારે જ ઇરાને કુવૈત પર હુમલો કરી દીધો હતો. જેના કારણે એરસ્પેસ બંધ કરી દેવાઇ હતી, ફ્લાઇટ કેન્સલ થઇ ગઇ હતી. જેથી આખું ગ્રુપ કુવૈતમાં અટવાઇ ગયું હતું. કુવૈત તેમના માટે અજાણ્યું હતું. ક્યાંયથી કોઇ મદદ મળે તેવું નહોતું. જેથી એક હરિભક્તે રોબિન્સવિલેમાં આવેલા BAPS મંદિરનો સંપર્ક કર્યો અને ત્યાંના સંતોને પરિસ્થિતિ અંગે જાણ કરી. જેના પછી રોબિન્સવિલેના સંતોએ અબુધાબીમાં આવેલા BAPS મંદિરના સંત બ્રહ્મવિહારી સ્વામીને વાત કરી. રોબિન્સવિલેથી એક ફોન આવ્યોઆ અંગે બ્રહ્મવિહારી સ્વામી કહે છે કે, કુવૈતમાં બહુ મોટી સંખ્યામાં ભારતીયો ફસાઇ ગયા હતા. અનિશ્ચતતાના કારણે તે લોકો મૂંઝવણમાં હતા. સ્થાનિક સરકાર અને કંપનીઓએ ખૂબ સારી વ્યવસ્થા કરી હતી પણ દવા, માહિતીના એનાલિસિસ અને ઇમોશનલ કમ્ફર્ટ ખૂબ મોટો ભાગ ભજવે છે. અમને રોબિન્સવિલેથી ફોન આવ્યો અને ત્યાંના સંતોએ કહ્યું કે અમેરિકાના આપણા ભક્તો સાથે શુભેચ્છકો પણ કુવૈતમાં ફસાયા છે. આમાં આપણે શું મદદ કરીએ? કુવૈતના હરિભક્તોએ સેવાનું બિડું ઝડપી લીધું આ ફોન બાદ બ્રહ્મવિહારી સ્વામીએ કુવૈતમાં રહેતાં સુરેશ ચોકસીનો સંપર્ક કર્યો હતો. સુરેશ ચોકસી પોતે IIT એન્જિનિયર છે અને IIT એન્જિનિયર ગ્રુપના કો-ઓર્ડિનેટર પણ છે. કુવૈતમાં હરિભક્તોનો નાનો સત્સંગ સમુદાય છે. જે ઘરે-ઘરે ભક્તિ-સત્સંગ કરે છે અને લોકોને મદદ કરે છે. સુરેશ ચોકસીએ કહ્યું કે, અમને આ હરિભક્તોની સ્થિતિ વિશે ખ્યાલ આવ્યો. તે દિવસે જ મેં હરિભક્તોનો સંપર્ક કર્યો હતો અને બ્રહ્મવિહારી સ્વામીના માર્ગદર્શન પ્રમાણે હું એ હોટલ પર ગયો હતો. હોટલ પર જઇને મેં હરિભક્તો માટે ચા, દૂધ, નાસ્તાની વ્યવસ્થા કરી હતી. પ્રવાસીઓએ કુવૈતમાં ફસાયા ત્યારની સ્થિતિ વર્ણવી હતી. સાયરન અને બ્લાસ્ટના અવાજ વચ્ચે રહ્યાંસોનલ ભગતે જણાવ્યું કે, અમે લોકો કુવૈતમાં ફસાઇ ગયા હતા. જેના કારણે હું ગભરાઇ ગઇ હતી. મને એમ થયું કે આ દેશ નવો છે. અહીંયા શું કરીશું? એકબાજુ સાયરન અને ધડાકાના અવાજ સંભળાઇ રહ્યાં હતા. બીજીબાજુ રહેવાનું કંઇ નહોતું. કોઇની ઓળખાણ નહોતી. દર્શને કહ્યું કે, હું ગભરાઇ ગયો હતો. એ ખરેખર ભયાનક સ્થિતિ હતી. અમારા માટે અજાણી જગ્યા હતી, બહારનું વાતાવરણ પણ ડરામણું હતું. મારી અને મારા પરિવારની સુરક્ષા સૌથી મોટો પ્રશ્ન હતો કેમ કે બધું તરત જ બદલાઇ રહ્યું હતું. કિરણ પટેલ કહે છે કે, અમે કુવૈત એરવેઝમાં અમદાવાદ જવા માટે નીકળ્યા હતા. કુવૈતમાં આવ્યા પછી અમે બીજી ફ્લાઇટની રાહ જોતા હતા ત્યારે રાત્રે મેસેજ આવ્યો અને યુદ્ધની શરૂઆત થઇ ગઇ હતી. ફસાયેલા લોકો માટે હરિભક્તોએ રહેવા-જમવાની સુવિધા કરી હતી. હરિભક્તો ભાવપૂર્વક ભોજન લઇને જતાંબ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું કે, બહાર જવું પણ જોખમકારક હોય તેવી પરિસ્થિતિમાં હરિભક્તો 15-20 મિનિટ કે અડધો કલાક સુધી ડ્રાઇવ કરીને ફસાયેલા લોકો માટે ભાવપૂર્વક ભોજન લઇને જતા. ભોજનમાં પણ ફક્ત સામાન્ય પૂરી-શાક જેવી 2 વસ્તુ નહીં પણ જુદી-જુદી જાતની વસ્તુઓ લઇ જતા. હરિભક્તો એમ માને છે કે જ્યારે કોઇની મદદ કરીએ ત્યારે તે પ્રેમથી કરવી જોઇએ. કુવૈતથી સાઉદી અરેબિયા જવાનો આઇડિયાતેમણે આગળ કહ્યું કે, સેવા તો કરી પણ બહાર કેવી રીતે જવું? શું કરવું? તે પ્રશ્ન હતો. એકતરફ ટિકિટ કેન્સલ થઇ રહી હતી, એર સ્પેસ ખૂલશે કે નહીં તેની મૂંઝવણ હતી. આવા સમયે જ્યારે હરિભક્તો અને ભાવિકો મૂંઝાતા હતા અને એક રાતે મને ફોન આવ્યો કે સ્વામી, અમે બધા મૂંઝાઇએ છીએ. શું કરવું? તે વખતે મને એક વિચાર આવ્યો કે જો એ લોકો કુવૈતથી સાઉદી અરેબિયા જઇ શકે તો સારૂં. અમેરિકાના નાગરિકોને વિઝાનો પ્રશ્ન હતો કેમ કે અમેરિકન દૂતાવાસ પણ બંધ હતું. આના પછી બધાને કુવૈતથી સાઉદી અરેબિયાની બોર્ડર પાર કરાવીને જેદ્દાહ લાવવાનું નક્કી થયું. આ ઘટનાક્રમ વિશે બ્રહ્મવિહારી સ્વામીએ કહ્યું કે, આ પરિસ્થિતિમાં બાપા (મહંત સ્વામી)ને યાદ કર્યાં. મહંત સ્વામીના સતત ફોન આવ્યા કરતા હતા. મહંત સ્વામીને જાણ કરી કે આ રીતે હરિભક્તો અને શુભેચ્છકો ફસાયેલા છે. મેં મહંત સ્વામીને પૂછ્યું કે બધા મૂંઝાય છે તો શું કરવું? ત્યારે મહંત સ્વામીએ કહ્યું કે તમે જેમ કહો છો તે પ્રમાણે આગળ વધો. મહંત સ્વામીમાં વિશ્વાસ રાખીને મેં સૂચન કર્યું કે તમે બધા સાઉદી અરેબિયાની બોર્ડર પર જાઓ. અડગ આસ્થા સામે થાક, ડર અને ચિંતાની હારસુરેશ ચોકસીએ બધાને સાઉદી અરેબિયાની બોર્ડર પર મોકલવા માટે બસની વ્યવસ્થા કરી આપી હતી. બસમાં નીકળેલા હરિભક્તો પર જોખમ તો હતું જ, થાક લાગ્યો હતો, ડર લાગતો હતો, ચિંતા હતી પણ મનમાં અડગ આસ્થા હતી. સાઉદી અરેબિયાની બોર્ડર પાર કરતાં તેમને 7 કલાક જેટલો સમય લાગી ગયો. આ સમયે પણ બધા પ્રવાસીઓ સતત બ્રહ્મવિહારી સ્વામીના સંપર્કમાં હતા. સાઉદી અરેબિયામાં પણ કાળજી લીધીકુવૈતમાંથી નીકળી સાઉદી અરેબિયા પહોંચી ગયા બાદ પણ અબુધાબીના BAPS મંદિર અને તેના સંતો, હરિભક્તોએ આ પ્રવાસીઓની કાળજી લેવાનું ચાલુ રાખ્યું હતું. પ્રવાસીઓને જેદ્દાહથી અમદાવાદ આવવાનું હતું એટલે બ્રહ્મવિહારી સ્વામીએ મંદિરના ચેરમેન અશોક કોટેચાને પૂછ્યું હતું કે આ પ્રવાસીઓ માટે જેદ્દાહમાં આપણે શું વ્યવસ્થા કરી શકીએ? આના પછી હરિભક્તોની કાળજીની જવાબદારી સાઉદી અરેબિયાના એક મુસ્લિમ વેપારીને સોંપાઇ હતી. આખી રાત હરિભક્તોના સંપર્કમાં રહ્યાંઅશોક કોટેચા કહે છે કે, કુવૈતથી જેદ્દાહનું અંતર અંદાજે 1500 કિલોમીટર છે. બસમાં વાર પણ લાગે. બ્રહ્મવિહારી સ્વામી સાથેની વાત બાદ મેં જેદ્દાહમાં 35 વર્ષોથી મારા મિત્ર એવા અસલમભાઇ કાઝીનો સંપર્ક કર્યો હતો. અસલમભાઇને લોજિસ્ટિકનો મોટો બિઝનેસ છે. મેં અસલમભાઇને વાત કરી એટલે તેમણે પર્સનલ સેક્રેટરી અને બીજા 2 લોકોનું વ્હોટ્સએપ ગ્રુપ બનાવી દીધું હતું. અમે દિલીપભાઇને પણ તેમાં એડ કર્યાં હતા. દિલીપભાઇ અને બીજા હરિભક્તો બપોરે અઢી વાગ્યે કુવૈતથી નીકળ્યાં હતા. અસલમભાઇની ટીમ અને હું આખી રાત દિલીપભાઇના સંપર્કમાં હતા. તેમની બસનો ડ્રાઇવર ફક્ત અરેબિયન ભાષા જ બોલતો હતો. રમઝાનના કારણે તેને આરામ પણ કરવો પડતો હતો. અસલમભાઇએ હોટલના 3 રૂમ બૂક કરાવ્યા હતા અને સવારનો નાસ્તો પણ તૈયાર રાખ્યો હતો. જ્યારે આ પ્રવાસીઓ જેદ્દાહ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે અસલમભાઇનો સ્ટાફ, અશોક કોટેચાનો સ્ટાફ તેમના માટે જમવાનું લઇને હાજર હતો. બપોરે 3 વાગ્યે તેઓ એરપોર્ટ બહાર મળ્યાં અને બધાને ભોજન કરાવ્યું હતું. આના પછી પ્રવાસીઓ એરપોર્ટમાં અંદર ગયા ત્યાં સુધી તેમને સપોર્ટ કર્યો હતો. જેના પછી આ પ્રવાસીઓ જેદ્દાહથી હેમખેમ અમદાવાદ પહોંચ્યા હતા. હરિભક્તોની સેવાને યાદ કરતાં યુવતી ભાવુક થઇઆના વિશે વાત કરતાં પૂર્વી પટેલ ભાવુક થઇ ગઇ. તેણે કહ્યું કે, અમારા માટે એ સમય ઘણો મુશ્કેલીભર્યો હતો. અમને અબુધાબીના BAPS મંદિર અને હરિભક્તો તરફથી ઘણો સહકાર મળ્યો હતો. એ લોકોના પ્રેમ અને સહકાર વિશે વિચારતાં જ હું ભાવુક થઇ જઉં છું. મુશ્કેલ પરિસ્થિતિમાં એ લોકો અમારી સાથે ઊભા રહ્યાં હતા. બ્રહ્મવિહારી સ્વામીએ ઘણી મદદ કરી છે. જો તે ન હોત તો હું આજે અહીં ન હોત. હરિભક્તોએ કરેલી સેવાને બ્રહ્મવિહારી સ્વામી નિઃસ્વાર્થ સેવા ગણાવે છે.તેમણે કહ્યું કે, BAPSના DNAમાં સેવા છે. પ્રમુખ સ્વામી મહારાજે વર્ષો પહેલાં કુવૈત, સાઉદી અરેબિયા, બહેરીન, UAE, ઓમાન જેવા દેશોમાં રૂબરૂ જઇ, પત્રોથી, ફોનથી હરિભક્તોને તૈયાર કર્યાં, સંતોને હિંમત આપી તેના કારણે ગળથૂંથીમાં આ નિઃસ્વાર્થ સેવા ભાવના આવી છે. આ સેવાથી ભગવાન અને સંતો ખૂબ રાજી થયા છે. દરેકને ખૂબ હિંમત અને હૂંફ પ્રાપ્ત થઇ છે. 'બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ એ પ્રમુખ સ્વામી મહારાજનું સૂત્ર છે. બીજા સુખી રહે, સુરક્ષિત રહે અને આગળ વધે તે માટે હરિભક્તોએ પોતાના જીવના જોખમે પણ સતત 24 કલાક ખડેપગે રહીને દુબઇ, અબુધાબી, શારજહાં, ઓમાન એમ બધી જગ્યાએ ભારતીયોની ખૂબ સેવા કરી છે.'
તેની ઉંમર ફક્ત 25 વર્ષની હતી.... તેની આંખમાં હજારો સપનાં હતા અને મનમાં જિંદગીને જીવવાની આશા હતી. નામ તેનું પ્રાચી હતું. 25 એપ્રિલ, 2019ની સવારે આખા વડોદરાને હચમચાવી મૂક્યું હતું કેમ કે એ સવારે ત્યાંના પ્રખ્યાત યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ પાસેથી ડ્રામા આર્ટિસ્ટ પ્રાચી મૌર્યની લાશ મળી હતી. તેની હત્યા બીજા કોઇએ નહીં પણ પૂર્વ પ્રેમીએ જ કરી હતી. પહેલાં પ્રેમ અને પછી થયેલું બ્રેકઅપ પ્રાચીની જિંદગીમાં એવા ઝંઝાવાત લઇને આવ્યા જે તેને મોત સુધી દોરી ગયા. ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના આજના એપિસોડમાં વાંચો ખળભળાટ મચાવનારા પ્રાચી મૌર્ય હત્યા કેસ વિશે. યશોદાબેન મૌર્ય વડોદરાના જૂના પાદરા રોડ પર આવેલા ઓર્ચિડ બંગ્લોઝમાં 44 નંબરના બંગલામાં રહેતા હતા. તેમના પરિવારમાં બે દીકરીઓ પ્રાચી અને સચી હતી. પ્રાચીની ઉંમર 25 વર્ષ જ્યારે સચીની ઉંમર 20 વર્ષની હતી. પ્રાચીએ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો હતો અને તે પર્સનલ ટ્યૂશન કરાવતી હતી. એન્જિનિયરિંગ કર્યા પછી તે કંઇક નવું કરવા માગતી હતી. છેલ્લા એકાદ વર્ષથી પ્રાચીએ કોઇ સારી નોકરીની શોધ શરૂ કરી હતી. આ દરમિયાન તેને સોશિયલ મીડિયાથી જાણવા મળ્યું કે અલકાપુરીમાં આવેલા એપ્લોઝ સ્ટુડિયોમાં ડ્રામા માટે છોકરા-છોકરીઓને લેવાના છે. જેથી તેણે એપ્લોઝ સ્ટુડિયોનો સંપર્ક કર્યો હતો. અપ્સરા આયંગર સ્ટુડિયોના સંચાલક હતા. પ્રાચીએ તેમની સાથે વાત કરી અને સ્ટુડિયોમાં કામ કરવાનું ચાલુ કરી દીધું. તારીખઃ 24 એપ્રિલ, 2019 પ્રાચીએ અહીં કામ શરૂ કર્યાને હજુ તો પંદરેક દિવસ માંડ થયા હશે ત્યાં એપ્લોઝ સ્ટુડિયોએ ખંભાતમાં ડ્રામાનો પ્રોગ્રામ રાખ્યો હતો. જેથી પ્રાચી સહિત 17 સભ્યોના એક ગ્રુપે ત્યાં જવાનું હતું. વડોદરાથી ખંભાતનું અંતર અંદાજે 80 કિલોમીટર જેટલું છે. શોનો સમય તો રાત્રે 9થી 11 વાગ્યા સુધીનો હતો પણ શો પહેલાં રિહર્સલ કરવાનું હોવાથી ગ્રુપે થોડું વહેલું પહોંચવાનું નક્કી કર્યું હતું. બપોરે 2:30 વાગ્યા આસપાસ પ્રાચી એપ્લોઝ સ્ટુડિયો જવા માટે પોતાના ઘરેથી 2 મોબાઇલ, મેકઅપનો સામાન, કપડાંની બેગ અને એક્ટિવા લઇને નીકળી હતી. જતાં-જતાં તેણે મમ્મીને કહ્યું કે, આજે અમારે ખંભાતમાં પ્રોગ્રામ છે એટલે રાત્રે ઘરે આવતાં મોડું થશે. સ્ટુડિયો પર પહોંચ્યા બાદ પ્રાચી પોતાના ગ્રુપના અંકિત શર્મા, વસ્તલ ધમાણી, આરોહી, અર્ચના, આત્મન સહિતના સભ્યો સાથે ખંભાત જવા માટે ટેમ્પો ટ્રાવેલર્સમાં નીકળી હતી. ખંભાત પહોંચ્યા બાદ પ્રાચી અને તેના ગ્રુપે તરત જ રિહર્સલ કર્યું. રાત્રે 9 વાગતાં જ તેમનો શો શરૂ થયો હતો. દરેક આર્ટિસ્ટે પોતાનું બેસ્ટ પર્ફોર્મન્સ આપ્યું. હાજર રહેલા પ્રેક્ષકોની તાળીઓનો ગડગડાટ એ વાતનો પુરાવો હતો કે આ શો કેટલો સક્સેસ રહ્યો હતો. આ ડ્રામાનું નામ સ્પીચલેસ હતું પણ પ્રાચી સાથે જે ઘટના બનવાની હતી તે પણ જાણે કે આખા વડોદરાને એ દિવસે સ્પીચલેસ કરી દેવાની હતી. પ્રેક્ષકોના પ્રતિસાદથી ફક્ત પ્રાચી જ નહીં પણ આખા ગ્રુપના સભ્યોમાં એક અલગ પ્રકારનો આનંદ હતો. બધાના મનમાં શો સફળ રહ્યાનો સંતોષ પણ હતો. સામાન્ય રીતે જ્યારે આવા કોઇ શો થતાં હોય છે ત્યારે આર્ટિસ્ટ શો પહેલાં જમવાનું કે ભારે નાસ્તો કરવાનું ટાળતા હોય છે. શો પૂરો થયા બાદ જ જમે છે. આ ગ્રુપે પણ આવું જ કર્યું હતું. તેમણે શો પૂરો થયા બાદ સાથે મળીને ડિનર કર્યું હતું. જેના પછી પ્રાચીએ મમ્મી યશોદાબેનને ફોન કર્યો હતો. પ્રાચીઃ હેલ્લો.... મમ્મીયશોદાબેનઃ હા, બોલ બેટા.પ્રાચીઃ મમ્મી, અહીં અમારો શો પૂરો થઇ ગયો છે.યશોદાબેનઃ અચ્છા, કેવો રહ્યો તારો શો?પ્રાચીઃ મમ્મી, ખૂબ સારો રહ્યો.યશોદાબેનઃ સારૂંપ્રાચીઃ મમ્મી, હવે અમે લોકો અહીંથી વડોદરા આવવા નીકળીએ છીએ.યશોદાબેનઃ હા, ધ્યાન રાખીને આવજે હો બેટા.પ્રાચીઃ હા, મમ્મી દીકરીના અવાજમાં જે ખુશી હોય તે કોઇ માતાથી કેવી રીતે છૂપી રહી શકે? યશોદાબેનને પ્રાચીની ખુશીનો અંદાજો આવી ગયો. તે મનોમન વિચારવા લાગ્યા કે મારી દીકરી આગળ વધી રહી છે અને સફળ થઇ રહી છે પણ કોઇને ખબર નહોતી કે યશોદાબેન અને પ્રાચી વચ્ચેની આ વાતચીત અંતિમ વાતચીત બની રહેવાની હતી. મમ્મી સાથે વાત કર્યા બાદ પ્રાચીએ કોલ કટ કર્યો અને ગ્રુપના સાથીઓ સાથે વડોદરા આવવા નીકળી હતી. આ સમયે ઘડિયાળનો કાંટો રાતના 12:20 વાગ્યાનો સમય બતાવતો હતો અને કેલેન્ડરમાં તારીખ ફરીને 25 એપ્રિલ થઇ ગઇ હતી. રાત્રે અંદાજે 1:30 વાગ્યા આસપાસ પ્રાચી અને તેનું ગ્રુપ એપ્લોઝ સ્ટુડિયો પહોંચી ગયા હતા. અહીંથી સૌએ છૂટા પડીને પોતાના ઘરે જવાનું હતું. ગ્રુપની 2 યુવતીઓને લેવા માટે તેના માતા-પિતા આવેલા હતા. જ્યારે પ્રાચી સહિતની બાકીની યુવતીઓએ પોતાની રીતે ઘરે પહોંચવાનું હતું. મોડી રાત થઇ ગઇ હતી એટલે ગ્રુપમાં જે-જે યુવાનો હતા તેમણે છોકરીઓને સુરક્ષિત રીતે ઘર સુધી મૂકવા જવાનું નક્કી કર્યું હતું. અંકિત પોતાની બાઇક પર અને પ્રાચી પોતાની એક્ટિવા પર સ્ટુડિયોથી ઘરે જવા નીકળ્યા હતા પણ પ્રાચી પોતાના ઘરે પહોંચી ન શકી. રસ્તામાં તેમની સાથે કંઇક એવું બન્યું કે જે માની શકાય તેવું નહોતું. એવું તો શું બની ગયું તેનો ખુલાસો પછીથી થશે. તારીખઃ 25 એપ્રિલ, 2019સમયઃ સમય સવારે 8 વાગ્યાનો. આ સમયે એકસાથે 3 ઘટનાઓ આકાર લઇ રહી હતી. પહેલી ઘટના અંકિત શર્માને એપ્લોઝ સ્ટુડિયોના સંચાલક અપ્સરા અયંગરનો કોલ આવ્યો. બીજી ઘટના પ્રાચીના ઘરે એક અમંગળ સમાચાર આવ્યા અને ત્રીજી ઘટના એક રાહદારીએ વડોદરા પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને એક લાશ વિશે માહિતી આપી. વાત પહેલી ઘટનાની.અંકિત શરણમ ફ્લેટમાં આવેલા પોતાના ઘરે સૂતો હતો ત્યારે અપ્સરા અયંગરનો તેને ફોન આવ્યો હતો. અપ્સરાએ તેને પૂછ્યું કે, અંકિત, પ્રાચી મળતી નથી. તે છેલ્લે તેને ક્યાં છોડી હતી. અપ્સરાના અવાજમાં ગભરાટ અને ચિંતા સ્પષ્ટ વર્તાતા હતા. તેણે પૂછેલા આ સવાલથી અંકિત પણ ચોંક્યો. અંકિતે તેને કહ્યું કે, મેડમ, મેં છેલ્લે તેને રિલાયન્સવાળી ગલીમાં છોડી હતી. આના પછી અપ્સરાએ ફોન તો કટ કર્યો પણ અંકિતની ચિંતા વધી ગઇ હતી. તેણે પોતે જ પ્રાચીને ફોન લગાવ્યો. એક-બે વાર કોલ કર્યો પણ લાગ્યો નહીં. જેથી તે પોતાની બાઇક લઇને પ્રાચીને જ્યાં છેલ્લે છોડી હતી ત્યાં જવા નીકળ્યો હતો. હવે વાત બીજી ઘટનાની.પ્રાચીના મમ્મી યશોદાબેન પોતાના ઘરમાં હતા. એ જ સમયે તેમનો ડોર બેલ રણકી ઉઠ્યો. યશોદાબેને જેવો દરવાજો ખોલ્યો તો સામે એક અજાણ્યો ચહેરો ઊભો હતો. તેણે યશોદાબેનને કહ્યું કે નંદ સોસાયટીના મકાન નં-4ના કમ્પાઉન્ડની દીવાલ અને તેની પાસે આવેલા સપ્તપર્ણીના ઝાડની વચ્ચે એક યુવતીની લાશ પડેલી હતી. તેની બાજુમાં એક એક્ટિવા પણ પડેલુ છે. જે તમારૂં છે. આ વાત સાંભળીને જાણે કે યશોદાબેનના હોંશ ઊડી ગયા. યશોદાબેન પુત્રી સચી સાથે હાંફળાફાંફળા થતાં નંદ સોસાયટી જવા માટે નીકળ્યા. ત્રીજી ઘટનામારૂતિરાવ ચૌરંગે નામની એક વ્યક્તિએ સવારના પહોરમાં ઝાડ પાસે પડેલી લાશ જોઇ. તેણે તરત પોલીસ કન્ટ્રોલ રૂમને ફોન લગાવ્યો. ફોન પર ASI નરવતસિંહ પરમાર હતા. મારૂતિરાવે તેમને યુવતીની લાશ વિશે જાણ કરી. આ વિસ્તાર જે.પી.રોડ પોલીસ સ્ટેશનની હદમાં આવતો હતો એટલે ASIએ માહિતીની નોંધ કરીને જે.પી.રોડ પોલીસ સ્ટેશનના PSO (પોલીસ સ્ટેશન ઓફિસર) રમેશ રોહિતને જાણ કરી. રમેશભાઇએ સ્ટેશન ડાયરીમાં નોંધ કરીને તરત જ PI એન.એચ.બ્રહ્મભટ્ટને ફોન લગાવ્યો અને માહિતી આપી. સવારનો સમય હતો અને ત્યાં જ આવા સમાચાર મળતાં PI બ્રહ્મભટ્ટ સ્ટાફ સાથે તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ગયા. થોડી જ વારમાં યશોદાબેન અને સચી પણ ત્યાં આવી પહોંચ્યા હતા. અહીં જોયું તો પ્રાચીનો નિશ્ચેતન દેહ ઝાડ પાસે નીચે પડેલો હતો. તેના મોંઢામાંથી લોહી નીકળીને જમણા ગાલ પર સૂકાઇ ગયું હતું. ડાબા ગાલ પર છોલાઇ ગયા જેવું નિશાન હતું. જડબા નીચે, જમણી આંખ પાસે અને ગળાના પાછળના ભાગે ઘસરકા હતા. પ્રાચીના ગળા પર ટૂંપો અપાયાના નિશાન પણ હતા. નજીકમાં જ પ્રાચીનું એક્ટિવા, મેકઅપનો સામાન અને કપડાં ભરેલી બેગ પડી હતી પણ તેના બન્ને મોબાઇલ ફોન અને એક્ટિવાની ચાવી ગુમ હતા. આ બધી સ્થિતિ અને સંજોગો એ વાતનો ઇશારો કરી રહ્યા હતા કે કોઇએ પ્રાચીની હત્યા કરી છે. લૂંટના ઇરાદે આ હત્યા થઇ હોવાનું લાગતું નહોતું કેમ કે પ્રાચીનું એક્ટિવા અને સામાનની બેગ ત્યાં જ પડ્યા હતા. પ્રાચીની લાશ જોતાં જ યશોદાબેન અને સચી પર જાણે કે આભ તૂટી પડ્યું. બન્ને ત્યાં પોક મૂકીને રડવા લાગ્યા. તેમના રડવાથી વાતાવરણ ગમગીન બની ગયું. હવે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો. અંદાજે નવેક વાગ્યામાં અંકિત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ સમયે ત્યાં અપ્સરા અયંગર, પ્રાચીના મમ્મી-બહેન, પોલીસ અને લોકોના ટોળાં હતા. પોલીસને ખબર પડી કે પ્રાચી છેલ્લે અંકિત સાથે હતી એટલે પોલીસે તેની પૂછપરછ કરી. અંકિતે એવા રહસ્યો ખોલ્યા કે જેણે પોલીસને પ્રાચીના હત્યારા સુધી પહોંચાડી દીધી. અંકિત પ્રાચીની સાથે હતો તો પછી પ્રાચીની હત્યા કેવી રીતે થઇ?પ્રાચીની હત્યા કોણે અને શા માટે કરી હતી?પ્રાચીનો શું ગુનો હતો?આ તમામ સવાલોના જવાબ મળશે ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના બીજા એપિસોડમાં.
શહેર કોંગ્રેસે આગામી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખી સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. સોમવારે કોંગ્રેસ કાર્યાલય ખાતે 1થી 10 વોર્ડના કુલ 149 દાવેદારોએ પોતાના બાયોડેટા સબમીટ કર્યા હતા. જેમાં 13 નવા ચહેરા જોવા મળ્યા હતા. આગામી સમયમાં વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે. જે માટે શહેર ભાજપ દ્વારા બોર્ડ સંગઠન અને અલગ અલગ મોરચાઓના નામની જાહેરાત કરી છે. તો બીજી તરફ કોંગ્રેસ પક્ષે 19 વોર્ડ માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. પૂર્વ મંત્રી અને વડોદરાના પ્રભારી બિમલ શાહ અને અમદાવાદના પૂર્વ શહેર પ્રમુખ તથા વડોદરાના પ્રભારી નીરવ બક્ષીએ સોમવાર સવારથી દાંડિયા બજાર ખાતેના કોંગ્રેસ કાર્યાલય ખાતે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી. જેમાં શરૂઆતના 10 વોર્ડના દાવેદારી કરવા ઇચ્છતા કાર્યકરો પ્રભારીઓને મળ્યા હતા અને પોતાનો બાયોડેટા સબમીટ કર્યો હતો. જેમાં સૌથી વધુ વોર્ડ 1ની ચાર બેઠકો માટે 27 દાવેદારોએ દાવેદારી કરી છે. એક અંદાજ મુજબ 1થી 10 વોર્ડમાં 149 કાર્યકરોએ દાવેદારી નોંધાવી છે. 17 માર્ચ, મંગળવારે 11થી 19 વોર્ડના કાર્યકરોએ દાવેદારી કરશે. કોંગ્રેસે પાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખી સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી કોંગ્રેસના અભિયાનથી પ્રભાવિત 13 નવા ચહેરાઓએ બાયોડેટા આપ્યા, આજે વધુ કાર્યકરો જોડાઈ શકે છેકોંગ્રેસ પાર્ટી દ્વારા શહેરમાં વિદ્યાર્થીઓ અને પ્રબુદ્ધ નાગરિકો પાર્ટીમાં જોડાઈ અને જો કક્ષામાં હોય તો તેમને ઉમેદવાર બનાવવા માટેની તૈયારી બતાવી છે. ત્યારે સોમવારે સેન્સ પ્રક્રિયામાં વોર્ડ નંબર 1, 2, 3, 6, 8 અને 10માં 13 નવા ચહેરા જોવા મળ્યા હતા. કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશીએ મંગળવારે વધુ નવા કાર્યકરો જોડાઈ દાવેદારી કરશે તેવી આશા વ્યક્ત કરી છે.
કરજણ તાલુકાના ઓજ ગામમાંથી પસાર થતી નર્મદા નદીમાં ફળવાયેલી લીઝ ખાતે ખાણ-ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કોવડ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા બાદ ખનીજ માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતાં. જ્યારે ટીમે સ્થળ પરથી 4 મશીનો કબજે કર્યાં હતાં. નર્મદા નદીમાં ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદે રીતે રેતીનું ખનન કરાતું હોવાની બાતમી મળી હતી. ફ્લાઈંગ સ્કોવડ દ્વારા દરોડો પાડતા જ ખનીજ માફિયાઓ સતર્ક થઈ ગયા છે. ગાંધીનગરની ફ્લાઈંગ સ્કવોડ ડ્રોનથી પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. 2025માં રાજ્યમાં 195 વાહનો જપ્ત કર્યાં હતાં
જેતલપુર ખાતે રહેતા વૃદ્ધ દંપતીએ સોશિયલ મીડિયા પર જાહેરાત જોઈને ઘરની સાફસફાઈ કરવા ચાર જણાને બોલાવ્યા હતા. જોકે સાફ-સફાઈ કરવાની સાથે ગઠિયાઓ દંપતીના ઘરેથી 3800 ડોલર સહિત રૂ.4 લાખની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. અકોટા પોલીસે આ મામલે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. જેતલપુર શ્રીધર ફ્લેટમાં રહેતા 76 વર્ષીય હરીશભાઈ ચીમનલાલ કોઠારી હાલ નિવૃત્ત જીવન ગુજારે છે. તેમના ઘરે સાફ સફાઈ કરાવવાની હતી. ત્યારે નવેમ્બર મહિનામાં તેમને સોશિયલ મીડિયા પર જાહેરાત જોઈને હાર્દિક ક્લિનિંગ સર્વિસનો સંપર્ક કર્યો હતો. સામેથી રૂ.5 હજારમાં સફાઈ કરવાનું જણાવ્યું હતું. ત્યારબાદ 4 જણા હરીશભાઈના ઘરે સાફસફાઈ કરવા પહોંચ્યા હતા. 4 જણાએ કામ પૂર્ણ કરી રૂપિયા માંગ્યા હતા. જેથી હરીશભાઈ તિજોરીમાંથી રૂપિયા લેવા ગયા હતા, જોકે ત્યાં તેમને લોકર તૂટેલું જણાયું હતું. જોકે ત્યારબાદ ચારેય ફરાર થઈ ગયા હતા. તેઓ તિજોરમાંથી 100ની નોટનાં બંદલ, 3800 અમેરિકન ડોલર(રૂ.3.50 લાખ) તથા રૂ.50 હજાર રોકડા સહિત રૂ.4 લાખની ચોરી કરી ગયા હતા. વૃદ્ધ દંપતીએ હાર્દિક ક્લીનિંગ સર્વિસનો સંપર્ક કરતાં 4 ગઠિયા ઘરે સફાઈ કરવા પહોંચ્યા હતા ભાસ્કર ફર્સ્ટ પર્સનસ્ક્રૂ ડ્રાઈવર વડે લોકર તોડી ચોરી કરી, અમે અંદર ન જઈ શકીએ એટલે દરવાજા પર જ સામાન મૂકી રાખ્યોહું અને મારી પત્ની સોફા પર બેઠા હતા, ચારેય જણાએ બીજા રૂમના દરવાજા પાસે જ ઘણો સામાન મૂકી દીધો હતો, જેથી અમે અંદર ન જઈ શકીએ. તેમને સ્ક્રૂ ડ્રાઈવર વડે લોકર તોડીને ડોલર, સહિતની ચોરી કરી હતી. ત્યારબાદ તેઓ એક બાદ એક ત્રણ જણા કોઈ કામ આવ્યું છે, તેમ કહીને નીકળી ગયા હતા. જોકે એકને કદાચ જાણ નહોતી કે, ત્રણે ચોરી કરી છે. તે વ્યક્તિ રૂપિયા લેવા ઉભો થઈ રહ્યો હતો. હું અંદર રૂમમાં જતા બીજા લોકોએ રૂપિયા લેવા ઉભેલી વ્યક્તિને બોલાવી લીધી હતી અને તેઓ ચારેય ભાગી ગયા હતા. (હરીશભાઈ કોઠારી સાથે થયેલી વાતચીત મુજબ)
બોર્ડની પરીક્ષા:ધો.12 સાયન્સના જીવ વિજ્ઞાનમાં કેટલાક પ્રશ્નો ટ્વિસ્ટ કરી પૂછાયા
ધો.10-12ની બોર્ડ પરીક્ષા પૂરી થવાના આરે છે. ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા સોમવારે પૂરી થઇ હતી. વિજ્ઞાન પ્રવાહમાં છેલ્લા પેપર જીવવિજ્ઞાનમાં અમુક પ્રશ્નો ટ્વિસ્ટ કરી પૂછયા, જ્યારે કેટલાક પ્રશ્નો ધારણાથી વિપરીત પૂછાયા હતા. મંગળવારે ધો.12 સામાન્ય પ્રવાહમાં એકાઉન્ટના પેપર સાથે પરીક્ષા પૂર્ણ થઇ જશે. ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં જીવવિજ્ઞાનની પરીક્ષા લેવાઈ હતી. પરીક્ષામાં 3422 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 3393 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 29 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ધો.10માં સંસ્કૃત વિષયમાં 2074 વિદ્યાર્થીઓમાંથી 2041એ પરીક્ષા આપી હતી. જ્યારે 33 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. ભાસ્કર એક્સપર્ટસેક્શન-બી અને સીમાં આકૃતિ આધારિત પ્રશ્નોના વર્ણનને વિશેષ મહત્ત્વ પણ અપાયુંપાર્ટ-એમાં એમસીક્યુમાં મોટાભાગના એનસીઇઆરટીના લાઈન ટુ લાઈન પ્રશ્નો હતા, સાથે ગણતરી અને આકૃતિ આધારિત પણ પ્રશ્નો હતા. જે કદાચ વિદ્યાર્થીઓને થોડાક અઘરા લાગી શકે. એમસીક્યુમાં આંકડા આધારિત પ્રશ્નો પણ પૂછાયા હતા. જ્યારે પાર્ટ બીમાં સેક્શન-એમાં અમુક પ્રશ્નો ટ્વિસ્ટ કરીને પૂછેલા હતા અને થોડાક પ્રશ્નો ધારણાથી વિપરીત પૂછાયેલા હતા કે, જે આખા પેરેગ્રાફમાંથી નાના પ્રશ્ન બનાવી અને 2 માર્કમાં પૂછેલા હતા. સેક્શન બી અને સીમાં આકૃતિ આધારિત પ્રશ્નોના વર્ણનને મહત્ત્વ અપાયું હતું. - જૈમિની શાહ, વિષય નિષ્ણાત જીવ વિજ્ઞાન
સદ્ગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર અમદાવાદના સંતો દ્વારા ગોત્રી વિસ્તારમાં સત્સંગ સભા યોજાઈ હતી. જેમાંં અનેક ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. આ પ્રસંગે સ્વામિનારાયણ ભગવાન ઉપર સંતો-હરિભક્તો દ્વારા પુષ્પોથી અભિષેક કરાયો હતો. ત્યારબાદ કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજી સ્ટ્રેસ મેનજમેન્ટ ઉપર અને શાસ્ત્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામીએ સત્સંગ સુખદાયી વિષય ઉપર પ્રેરણાદાયી પ્રવચન કર્યા હતા. કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આજે માનસિક તણાવના કારણે દર વર્ષે વિશ્વમાં 2 કરોડ માણસો આત્મહત્યા કરવા માટે પ્રયત્ન કરે છે. આપણે ક્યારેય આત્મહત્યા ન કરવી જોઈએ. જેમ દિવસ અને રાત્રી વારાફરતી આવ્યા જ કરે છે, તેમ જીવનમાં સુખ અને દુઃખ પણ વારાફરતી આવ્યા જ કરે છે. દુઃખ આવે ત્યારે ધીરજ રાખવી જોઈએ. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જીવનમાં ઘણા માણસો દુઃખી હોય છે, તેથી તેમને ટેન્શન રહેતું હોય છે. શાંતિ પ્રાપ્ત કરવા માટે મેડિસીન નહીં, મેડિટેશનની જરૂર છે. આજે માણસ સવારે ઉઠીને તરત અને સૂતી વખતે મોબાઈલના દર્શન કરે છે, તેના કારણે માનસિક તણાવ વધે છે. એના બદલે ભગવાનનાં દર્શન કરીને દિવસનો પ્રારંભ કરવો જોઈએ.
ઇન્દુ ફાઉન્ડેશન દ્વારા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના 71મા જન્મદિન નિમિત્તે વિશેષ જળ સંરક્ષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શહેરના 5 વિધાનસભા વિસ્તારોમાં દરેક વિધાનસભા દીઠ 71 રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપિત કરવાની યોજના બનાવાઈ છે. ડૉ. વિજય શાહ દ્વારા આ અભિયાન જન ભાગીદારીથી ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં ઘર તથા ખાનગી એપાર્ટમેન્ટમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપિત કરીને વરસાદી પાણીનું સંચય અને ભૂગર્ભ જળસ્તર વધારવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ સાંસદથી તથા ધારાસભ્યોની ગ્રાન્ટ તથા વડોદરા મનપા દ્વારા 10 કરોડના ખર્ચે જાહેર સ્થળોએ રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કાર્યરત કરાશે. સોમવારે સુભાનપુરામાં નવીનસિંહ જેતાવતના નિવાસસ્થાને બોરવેલ રિચાર્જ સિસ્ટમ સ્થાપિત કરી વરસાદી પાણીના સંચયની શરૂઆત કરવામાં આવી હતી. ઇન્દુ ફાઉન્ડેશન વડોદરા શહેરના નાગરિકોને પણ આ જળ સંરક્ષણ અભિયાનમાં જોડાવા માટે આમંત્રણ આપે છે. જેનો ખર્ચ પેટે 50 ટકા-50 ટકા જન ભાગીદારી થકી કોઈપણ વ્યક્તિને પોતાના ઘર કે ખાનગી મિલકતમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપિત કરી આપવામાં આવશે.
સયાજી હૉસ્પિટલના બાળ રોગ વિભાગમાં 2 દિવસના બાળકની જટીલ સર્જરી કરાઈ હતી. બાળકની અન્નનળી અને શ્વાસનળી પરસ્પર જોડાયેલી હતી. સર્જરી બાદ બંને નળી અલગ કરાઈ હતી.બાળકને 24 દિવસ એનઆઈસીયુમાં રાખી સઘન સારવાર કરાઈ હતી. હાલમાં બાળક માતાનું ધાવણ લઈ શકે છે અને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ગોધરાની 24 વર્ષીય મહિલાની પ્રસૂતિ બાદ બાળકને ટ્રેકિઓ-ઈસોફેજિયલ ફિસ્ટ્યુલા નામની ગંભીર બીમારી હોવાનું જણાયું હતું. જેમાં બાળકની અન્નનળી અને શ્વાસનળી જોડાયેલી હોય છે. જેથી તે દૂધ પીએ તે અન્નનળીને બદલે શ્વાસનળીથી ફેફસામાં જવાની શક્યતા રહે છે, જે શિશુ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. બાળકની સ્થિતિની ગંભીરતા જોતાં જન્મના 11 કલાકમાં જ તેને ગોધરાથી સયાજી હૉસ્પિટલના બાળરોગ વિભાગમાં ખસેડાયું હતું. બાળક દાખલ થયું તેના બીજા દિવસે તબીબોએ સર્જરી કરી હતી, તે પછી બાળકને 10 દિવસ મિકેનિકલ વેન્ટિલેટર પર રખાયું હતું. ખાનગી હૉસ્પિટલમાં સારવારનો રોજનો 25 હજારનો ખર્ચખાનગી હૉસ્પિટલમાં આવી સારવારનો પ્રતિદિન ખર્ચ 20 થી 25 હજાર જેટલો થતો હોય છે, જ્યારે સર્જરીનો ખર્ચ અલગ થાય છે. જોકે, સયાજી હૉસ્પિટલમાં આ તમામ જટિલ સર્જરી અને 24 દિવસની સઘન સારવાર વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી. એટલું જ નહીં બાળકની માતાને પણ રહેવા-જમવાની પૂરતી સવલતો હોસ્પિટલ દ્વારા આપવામાં આવી હતી.
ગેસ સિલિન્ડરની સંગ્રહખોરી અટકાવવા પુરવઠા વિભાગ, રેવન્યુ વિભાગ અને પોલીસના અધિકારીઓની ટીમ ખાનગી અને સરકારી ગેસ એજન્સી પર દરોડા પાડી રહી છે. સોમવારે વાઘોડિયા રોડની ગાયત્રી ગેસ એજન્સી દ્વારા ગોડાઉનમાંથી સિલિન્ડરનું ગેરકાયદે વેચાણ કરાતું હોવાનું ટીમે પકડી પાડ્યું છે. નોંધનીય છે કે, ગેસના પ્રશ્ન માટે નાગરિકોને રાજ્ય હેલ્પલાઇન નંબર 1800-232-0222 જાહેર કરાયો છે. પુરવઠા વિભાગ સહિતની સંયુક્ત ટીમે બાતમીના આધારે ગાયત્રી ગેસ એજન્સીના ગોડાઉન ખાતે પહોંચતાં ત્યાં લોકોને હાથોહાથ સિલિન્ડર અપાતા હોવાનું જોવા મળ્યું હતું. જેથી પુરવઠા વિભાગે એજન્સીને દંડ ફટકારવાની નોટિસ આપી છે. જ્યારે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપનીને પણ નોટિસ અપાઈ છે. બીજી તરફ જિલ્લા તંત્રે નાગરિકોને અપીલ કરી છે કે, સિલિન્ડર બુક કર્યા બાદ ઘરે બેઠાં જ ડિલિવરી મળશે. કોઈ ગ્રાહકોએ ગોડાઉન ખાતે જવું નહી. ગેસ લાઇન ધરાવતા 100 લોકોએ પોતાના સિલિન્ડર સરન્ડર કરાવ્યાંઅન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધારે જણાવ્યા મુજબ એલપીજીના ઘરેલુ અને કોમર્શિયલ વપરાશકર્તાને પીએનજીમાં કન્વર્ટ કરવાની પ્રક્રિયાને પ્રાથમિકતા અપાય છે. જે લોકો પીએનજી જોડાણ ધરાવતા હોય તેમણે બુધવાર સુધી એલપીજી જોડાણ સરન્ડર કરવાનાં રહેશે. શહેરમાં ગેસ લાઈન ધરાવતા 100 લોકોએ બોટલ સરન્ડર કર્યાં હોવાનું પુરવઠા વિભાગે જણાવ્યું છે. ગાયત્રી એજન્સીના 58 હજાર જેટલા ગ્રાહકો હોવાથી એજન્સી બંધ ન કરાઈગાયત્રી ગેસ એજન્સીના ગોડાઉનથી લોકોને સિલિન્ડર આપતા સમયે ડિલિવરી ચાર્જ લેવાયો હોવાનો ગ્રાહકોનો આક્ષેપ છે. જ્યારે ઘરે જઈ સિલિન્ડર આપ્યા હોય તો જ ડિલિવરી ચાર્જ લેવાય છે. નિયમ મુજબ ગોડાઉનમાંથી બોટલ ન આપી શકાય. ગાયત્રી ગેસ એજન્સીમાં 58 હજાર ગ્રાહકો હોવાથી લાઇસન્સ સસ્પેન્ડ કરાયું ન હોવાનું પુરવઠા વિભાગે જણાવ્યું હતું. બે દરોડા પાડીને કુલ 46 સિલિન્ડર કબજે કરાયાં
નવાયાર્ડ ખાતે રહેતી મહિલા કાકા સાથે મંજૂસર જીઆઈડીસીમાં નોકરી માટે ઈન્ટર્વ્યુ આપવા બાઈક પર જઈ રહી હતી. દરમિયાન દુમાડ પાસે ગાય આડે આવતાં બાઈક સ્લિપ થયું હતું, જેમાં કાકા-ભત્રીજી ગંભીર રીતે ઘવાયાં હતાં. મહિલા પગના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને વૃદ્ધને માથાના ભાગે ઈજા પહોંચી હતી. હાલમાં બંને સયાજી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. જાધવપાર્કમાં રહેતાં 43 વર્ષીય રિબેકા ક્રિશ્ચયનનું સોમવારે મંજૂસર જીઆઈડીસીમાં ઈન્ટર્વ્યુ હતું. જેથી તેઓ કાકા મનુભાઈ સોલંકી સાથે બાઈક પર ઈન્ટર્વ્યુ આપવા નીકળ્યાં હતાં. દરમિયાન તેઓ દુમાડ ગામ પાસે પહોંચ્યાં ત્યારે ગાય એકાએક બાઈકની આગળ આવીને ઊભી રહી ગઈ હતી. જેથી મનુભાઈએ બ્રેક મારતાં બાઈક સ્લિપ થઈ હતી. અકસ્માતને પગલે રિબેકાબહેનને હાથ-પગમાં ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે મનુભાઈ સોલંકીને માથામાં ઈજા પહોંચતાં રોડ પર લોહીનાં ખાબોચિયાં ભરાઈ ગયાં હતાં. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 દ્વારા તેઓને સયાજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ બાબતે રિબેકાબહેને જણાવ્યું હતું કે, હું ઈન્ટર્વ્યુ આપવા મારા કાકા સાથે જઈ રહી હતી. જોકે આ અકસ્માતને કારણે હું ઈન્ટર્વ્યુ આપી શકી નહોતી. હું સિંગલ મધર છું. છેલ્લા 6 મહિનાથી મારી પાસે નોકરી નથી. મારાં સંતાનોને હું ઉછેરી રહી છું. હવે દોઢ મહિનાનો પાટો આવ્યો છે એટલું હું નોકરી નહીં કરી શકું. માર્ચના 15 દિવસમાં જ 100 ગાય ઢોર ડબ્બામાં પૂરાઈપાલિકા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી રખડતી ગાયોને પકડવામાં આવે છે. માર્ચ મહિનામાં 100થી વધારે ગાયને ઢોર ડબ્બામાં પૂરવામાં આવી છે તેમ છતાં શહેરમાં ગાયો રખડતી જોવા મળતી હોય છે, જેને કારણે શહેરમાં અનેકવાર વાહનચાલકો અકસ્માતનો ભોગ બને છે.
સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત શહેરને સ્વચ્છ બનાવવા માટે વન વોર્ડ-વન રોડ ઝુંબેશ હેઠળ સફાઈ હાથ ધરાઈ છે. જેમાં જૂના આરટીઓ કચેરીથી ફતેપુરા ચાર રસ્તા સુધીનાં દબાણો હટાવવા સાથે રસ્તાની સફાઈ કરાઈ હતી. રોડ પર સેન્ટ્રલ ડિવાઈડરને ટ્રીટેડ વેસ્ટ વોટરથી ધોવાનું શરૂ કરાયું છે. સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત શહેરને સ્વચ્છ બનાવવા મ્યુનિ. કમિશનર અરુણ મહેશ બાબુએ 100 દિવસમાં 100 રોડની સફાઈની ઝુંબેશ હાથ ધરી છે. એક વોર્ડમાં એક રોડની સફાઈ સાથે દબાણો હટાવવાની કામગીરી તેમજ સેન્ટ્રલ ડિવાઇડરને ધોવાની કામગીરી કરાશે. તદુપરાંત ફૂટપાથ અથવા ડિવાઈડર તૂટેલા હોય તો તેના સમારકામની કામગીરી પણ એન્જિનિયરિંગ વિભાગ કરશે. આ ઝુંબેશ અંતર્ગત સોમવારે વારસિયા જૂના આરટીઓ કચેરીથી ફતેપુરા ચાર રસ્તા સુધી રોડની સફાઈ કરાઈ હતી. જેમાં સાથે રહેલી દબાણ શાખાની ટીમે લારી-ગલ્લા હટાવવા સાથે શેડ તોડી પાડ્યા હતા. બીજી તરફ પાનની પિચકારી અને ધુમાડાને કારણે ગંદા થયેલા ડિવાઇડરને ટ્રીટેડ વેસ્ટ વોટરથી ધોવાની કામગીરી કરાઈ હતી. પાલિકાની ટીમો રોડ પર ઊતરતાં જ દબાણકર્તાઓમાં નાસભાગ મચી ગઈ હતી. કેટલાક લોકો પોતાની લારી લઈને રોડ પર દોડતા નજરે પડ્યા હતા.
ભાયલીમાં રહેતી મહિલાના પતિ મૃત્યુ પામ્યા હોવાથી તે 5 વર્ષથી પોતાની માતા સાથે રહેતી હતી. મહિલાના સસરાએ મકાન વેચીને તેને રૂપિયા આપ્યા હતા. તે રૂપિયાથી મહિલાએ પોતાની દીકરીને વિદેશ મોકલી દીધી હતી. જોકે હાલમાં મહિલા પાસે રૂપિયા ન હોવાથી તે પોતાની માતાને પરેશાન કરતી હતી અને ઘર લઈ આપવા દબાણ કરતી હતી. આખરે વૃદ્ધાએ અભયમની મદદ માગી હતી. ટીમે કાઉન્સેલિંગ કરતાં તેણે માતાની માફી માગતાં મામલો થાળે પડ્યો હતો. ભાયલીમાં રહેતાં વૃદ્ધાનો જમાઈ 5 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યો હતો. દીકરીનાં સંતાનો નાનાં હોવાથી તે માતા સાથે પિયરમાં રહેતી હતી. બીજી તરફ દીકરીના સસરાએ મકાન વેચીને તેને રૂપિયા પણ આપ્યા હતા. હાલમાં વૃદ્ધા અને તેમની દીકરી સાથે રહે છે. જોકે 6 મહિનાથી તેઓ પોતાની દીકરીથી પરેશાન થઈ ગયાં છે. દીકરી તેની વૃદ્ધ માતા પાસે 25 લાખ માગતી હતી અને નવું મકાન લઈ આપવા પણ દબાણ કરતી હતી. આખરે કંટાળીને વૃદ્ધાએ અભયમને ફોન કરીને જણાવ્યું કે, મારી દીકરી માનસિક ત્રાસ આપે છે. રોજ રડી-રડીને મને હેરાન કરે છે. 2 વર્ષથી હું મારી દીકરીને સમજાવું છું, પણ તે સમજવા તૈયાર નથી. મારો દીકરો વિદેશ રહે છે, તે પણ ત્યાંથી આવીને સમજાવે છે. હવે મારી દીકરી ધમકી આપે છે કે, હું તમારાં બંનેનાં નામ લખીને મરી જઈશ. જેથી હવે હું મારી દીકરીને મારી સાથે રાખવા માગતી નથી. ત્યારબાદ અભયમની ટીમે સ્થળે પહોંચી દીકરીનું કાઉન્સેલિંગ કર્યું હતું. ટીમે તેને સમજાવ્યું કે, સિનિયર સિટીઝનને માનસિક ત્રાસ ન આપી શકો. આ રીતે ધાકધમકી આપવી એ ગુનો બને છે. રૂપિયા કે ઘરની માગણી કરવી યોગ્ય નથી. તમારી માતા વૃદ્ધ છે, તેમને પરેશાન ન કરવાં જોઈએ. આખરે દીકરીને ભૂલ સમજાતાં તેણે હવે પછી માતાને પરેશાન નહિ કરે તેવી ખાતરી આપી હતી. મહિલાની દીકરી પણ માતાને પરેશાન કરતી હતીપતિના મૃત્યુ બાદ મહિલાને તેના સસરાએ રૂપિયા આપ્યા હતા. જોકે તે તમામ રૂપિયા તેણે પોતાની દીકરી પાછળ ખર્ચીને તેને વિદેશ મોકલી હતી. જોકે મહિલાની દીકરી પણ તેને કોઈ પણ રીતે મદદ કરતી નહોતી. જેથી મહિલા પોતાની વૃદ્ધ માતાને રૂપિયા માટે પરેશાન કરતી હતી.
માનવતા મહેકાઈ:પરિવારથી વિખૂટા પડી ગયેલ દિવ્યાંગનું પરિવારથી મિલન
મુંબઇના 3 માસથી પરિવારથી વિખૂટા પડેલા યુવકનું જય જલારામ સેવા ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ આશ્રમ હિંમતનગરે કાઉન્સેલિંગ કરી પરિવારથી પુન: મિલન કરાવ્યું હતું. મુંબઈના માનસિક દિવ્યાંગ મિલિંદ માણિક દાવંડે છેલ્લા ત્રણ માસથી ખોવાયા હતા. જે જાદર પોલીસને વિરપુર રોડ ઉમિયા માતા મંદિર પાસેથી મળતાં તેને જય જલારામ સેવા ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ આશ્રમ હિંમતનગરમાં લવાયો હતો. જય જલારામ સેવા ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ આશ્રમે આશરો લઈ રહેલ માનસિક દિવ્યાંગનું કાઉન્સેલિંગ કરતાં નામ સરનામું જણાવતા પરિવારનો સંપર્ક કરતાં ત્રણ માસથી ગુમ થયેલ માનસિક દિવ્યાંગ ભાઈને ભાઈ મળતાં હરખના આંસુ રોકી શકાયા ન હતા.
દારૂ ઝડપાયો:મેઘજરના લાલોડીયા પાસેથી રૂ.57હજારનો દારૂ પકડાયો
મેઘરજના લાલોડીયાની સીમમાંથી એલસીબીએ બાઇક લઈ જવાતો રૂ.57,600ના વિદેશી દારૂ સાથે રાજસ્થાનના આરોપીને ઝડપી પાડ્યો હતો. મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન ખાનગી માહિતી મળી હતી કે તુમ્બલિયા ચોકડી બાજુથી શખ્સ બાઇક નંબર આરજે 12 Q S 3432 પર દારૂ ભરી જીતપુર તરફ આવવાનો હોવાની માહિતીના આધારે એલસીબીએ આરોપીને લાલોડીયાની સીમમાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસે તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂના ક્વાટર નંગ 264 મળ્યા હતા. પોલીસે 57600નો વિદેશી દારૂ, બાઇક સહિત કુલ 1,07,600નો મુદ્દામાલ કબજે લઈ આરોપી સુરપાલ વાલચંદ ડામોર રહે.સરથુંણા તા.શિમલવાડા જિ.ડુંગરપુરની અટક કરી વોન્ટેડ આરોપી ભયલી રહે. કાટકૂવા તા.માલપુર દારૂ ભરી આપનાર પીઠ રાજસ્થાનના અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
પાંચોટ રોડ પર અકસ્માત સર્જાયો:કારની ટક્કર બાદ બીજી કાર આઈશર સાથે અથડાઈ, બાળકીને ખભે ફ્રેક્ચર
મહેસાણાના પાંચોટ રોડ પર પૂરઝડપે આવતી કારે વળાંક લઇ રહેલી અન્ય કારને પાછળથી ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે વળાંક લઇ રહેલી કાર ફંગોળાઈને સામેથી આવતા આઈશર સાથે અથડાઈ પડી હતી. આ ઘટનામાં કારમાં સવાર એક બાળકીને ખભાના ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચી છે. સદનસીબે પરિવારના તમામ ચારેય સભ્યોનો આબાદ બચાવ થયો હતો. મહેસાણાની કામધેનુ સોસાયટીમાં રહેતા મનિષકુમાર લાલજીભાઈ સોલંકી ગત 7 માર્ચના રોજ રાત્રે પરિવાર સાથે કાર (GJ 02 EK 4910) લઈ પંચોટ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે ફન બ્લાસ્ટ પાસે વળાંક લેતી વખતે પાછળથી પૂરઝડપે આવતી અન્ય કાર (GJ 02 EK 0563) ધડાકાભેર અથડાઇ હતી. જેમાં કાર ફંગોળાઇને સામેથી આવતા આઈશર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં મનિષકુમારનાં માતા, પત્ની અને પુત્રને નાની-મોટી ઈજાઓ થઈ હતી, પરંતુ દીકરી વૈદહીને ડાબા ખભાના ભાગે ફ્રેક્ચર થયું હતું. તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી. જે-તે સમયે અકસ્માત કરનાર કારના માલિક મૌલિકભાઈ ઠક્કરે સારવારના પૈસા આપવાની શરતે સમાધાન કરવાની વાત કરી હતી. જોકે, લાંબો સમય વીતવા છતાં કોઈ સુખદ અંત ન આવતાં અને શરત મુજબ નાણાં ન મળતાં મનિષકુમાર સોલંકીએ રવિવારે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પંદર દિવસમાં 3812 દીકરીઓને રસી અપાઇ:સાબરકાંઠા HPV રસીકરણ કરવામાં રાજ્યમાં ત્રીજા નંબરે
મહિલાઓમાં જોવા મળતાં ગર્ભાશયના મુખના કેન્સર (સર્વાઇકલ કેન્સર) ને જડમૂળથી નાબૂદ કરવાના ઉમદા હેતુ સાથે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરેલ HPV રસીકરણ અભિયાન સાબરકાંઠા જિલ્લામાં વેગ પકડી રહ્યું છે. રસીકરણની કામગીરીમાં સાબરકાંઠા જિલ્લો સમગ્ર રાજ્યમાં ત્રીજા ક્રમે રહ્યો છે, ગત 2 માર્ચના રોજ આ અભિયાનનો પ્રારંભ કરાયો હતો. અભિયાનના પ્રથમ દિવસે જ જિલ્લાની 1221 દીકરીઓને રસી આપી સુરક્ષિત કરાઇ હતી. ત્યારબાદ 15 દિવસના ટૂંકા ગાળામાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી કરી કુલ 3812 કિશોરીઓનું રસીકરણ કરાયું છે. જિલ્લામાં આ અભિયાન અંતર્ગત કુલ 14155 કિશોરીઓને આવરી લેવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે. રાજ્ય સરકાર દ્વારા પ્રથમ તબકકામાં 4360 ડોઝ ફાળવાયા હતા. હાલમાં જિલ્લામાં 7000 થી વધુ રસીનો ડોઝ ઉપલબ્ધ છે.
રામજીબાપાએ સત્સંગમાં મુમુક્ષુઓને રસપાન કરાવ્યું:સંસાર-માયાનો ચડેલ મળ ઉતારવા સત્સંગ છે
રવિવારે ઇડરના કડીયાદરામાં રામજીબાપા (ધોલવાણી)નો સત્સંગ મેળાવડો યોજાયો હતો. જેમાં અન્ય સંતોએ પણ ઉપસ્થિત રહી પધારેલ મુમુક્ષુઓને આત્માના કલ્યાણ અર્થે શ્રીમદ્ રાજચંદ્ર, શ્રીમદ્ રામજીબાપા, શ્રીમદ્ નાથુબાપા તથા શ્રીમદ્ જેસીંગબાપાના મોક્ષ માર્ગના બોધ વચનોનું મુમુક્ષુઓને અમૃતપાન કરાવ્યું હતું. રામજીબાપાએ જણાવ્યું કે આપણે સત્સંગમાં આપણા આત્મા ઉપર જે માયા સંસારનો મળ ચડ્યો છે છે એ દૂર કરવા ભેગા થયા છીએ. જો અહીંયા સત્સંગમાં બેઠા પછી પણ શાંતિ ના જાળવીએ તો દેવું કરી ઘરે જઈએ. આપણે તો અહીંયા ઠરવા આવ્યા છીએ આપણા આત્મા ઉપર જે મળ છે એ સત્પુરુષોના બોધવચન મુજબ દૂર કરી ચોખ્ખા થવા આવ્યા છીએ. આપણે તો આત્મા છીએ પરમાત્માના અંશો છીએ. આપણે અહીંયા રોટલા ખાવા ભેગા નથી થયા. આત્માને પરમાત્મા ભેગો કરવા આવ્યા છીએ. હવે જો નવી માતા ઉદરે ના જવું પડે તો મનુષ્ય અવતાર લીધો એ ખરો બાકી તો પશુ જીવન કમાવું ખાવુંને મરી જવું. આ ભવનું તો તમારું બધું પૂરું કરવા ભગવાન બાંધેલા છે. પુણ્ય પ્રમાણે સમયે બધું મળી આવશે. તો ખોટી આશાઓ, ઈચ્છાઓને માગણીઓ ભગવાન પાસે ન કરો,નહીંતર દેવું થાય. ભગવાન પાસે માગણી તો કેવી કરાય મારો આત્મા મમતાથી મુકાય સમતામાં ઠહેરાય ને પરમાત્મા થાય એટલું જ માગવાનું હોય. આપણી ભૂમિમાં શ્રીમદ્ રાજચંદ્ર, શ્રીમદ્ રામજીબાપા, શ્રીમદ્ નાથુબાપા આત્મપુરુષો થઈ ગયા. કલ્યાણ ના થાય તો માગીને લઈ જજે એવા કરલે સોદા રોકડિયા એક પલક ઉધર નહીં. ને પછી રોગ ભેગા કરી ચોરાશી જવા માટે આ અવતાર નથી. મનુષ્ય અવતાર કલ્યાણ માટે જ છે. આપણી વર્તીઓ અવળી છે તે સવળી કરી દેવાની છે બીજું કશું કરવાનું નથી. આતો ટાઢા પડવો માર્ગ છે, ઠંડા પડવાનો માર્ગ છે આપણે જો ઠંડા ના પડીએ તો બીજાને શું શાંતિ આપવાના. આ પગે લાગ લાગ કરવાથી કલ્યાણ ના થાય.
હિંમતનગરના કઠવાડિયામાં લોહિયાળ ખેલ ખેલાયો:ખેતરમાં પાળો બાંધવા મામલે છરીના ઘા ઝીંકી યુવકની હત્યા
હિંમતનગરના કઠવાડિયા ગામમાં શનિવારે ખેતરમાંથી ટ્રેક્ટર પસાર કર્યા બાદ રવિવારે સાંજે ગેરકાયદે પ્રવેશ બંધ કરવા ખેતરમાં પાળો કરવા દરમિયાન આયોજનબદ્ધ રીતે છરી, લાકડીઓ ધોકા લઇને 15 જણાનું ટોળુ ધસી આવ્યું હતું અને 31 વર્ષીય યુવક પર છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખવા સહિત અન્ય ચાર જણાને પણ છરી, લાકડીઓ પથ્થર મારી ઇજાઓ પહોંચાડી હતી. હિંસક અથડામણ કરી તમામ પંદર જણા ફરાર થઇ ગયા હતા. સોમવારે યુવકના અગ્નિ સંસ્કાર બાદ ગામમાં અજંપો પ્રવર્તી રહ્યો છે અને પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે. હુમલામાં 4 માંથી 3 ગંભીર રીતે ઘાયલ થયા છે. કઠવાડિયાની સીમમાં રણજીતસિંહ મગનસિંહ ઝાલા અને અન્યોના ખેતરો છે. જ્યાંથી વાહન પસાર કરવાનો કોઈ સત્તાવાર રસ્તો નથી. તેમ છતાં તા. 14-03-26 ના રોજ ગામના જ કિસ્મતસિંહ દેવુસિંહ ઝાલા ત્યાંથી ટ્રેક્ટર લઈને પસાર થયા હતા. જેને પગલે ફરીથી કોઈ ખેતરમાં વાહન ન ઘૂસાડે તે માટે રવિવારે સાંજે સુરપાલસિંહ માનસિંહ ઝાલા અને તેમના કુટુંબીજનો જેસીબી મશીન વડે ખેતરની ફરતે પાળો બનાવી રસ્તો બંધ કરી રહ્યા હતા. સાંજે આશરે 7:30 વાગ્યાના સુમારે જ્યારે પાળો બનાવવાનું કામ ચાલતું હતું ત્યારે વિશાલસિંહ ખોડસિંહ ઝાલા અને વિરેન્દ્રસિંહ ખોડસિંહ ઝાલા સહિત 15 જેટલા શખ્સોનું ટોળું બાઇક ઉપર અને ચાલતાં ત્યાં ધસી આવ્યું હતું અને તમે કેમ પાળો બનાવી રસ્તો બંધ કરો છો કહી ટોળાએ ઝઘડો શરૂ કરી 15 શખ્સોનું ટોળું છરી લાકડીઓ સાથે તૂટી પડ્યું હતું. હુમલા દરમિયાન વિશાલસિંહ ખોડસિંહ ઝાલાએ લોખંડની છરી વડે ધર્મેન્દ્રસિંહ ભારતસિંહ ઝાલા (31) ની બગલ નીચે પાંસળીના ભાગે જોરદાર ઘા ઝીંકી દીધો હતો. ઘા એટલો ગંભીર હતો કે ધર્મેન્દ્રસિંહ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. કૌટુંબિક કાકાને બચાવવા વચ્ચે પડેલ સુરપાલસિંહ માનસિંહ ઝાલા અને અન્ય કુટુંબીજનો પર પણ હુમલાખોરો તૂટી પડ્યા હતા. આ દરમ્યાન ત્રણ શખ્સોએ સુરપાલસિંહ ઝાલાને છરીના ઘા હુલાવી દેતાં ઢળી પડ્યા હતા. એક યુવકનું ખૂન અને બીજો યુવક ગંભીર સ્થિતિમાં હોવાથી ગામમાં અજંપો પ્રવૃત્તિ રહ્યો છે. ફરાર થઈ ગયેલ હુમલાખોરોના ઘર આગળ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ગ્રામ્ય પોલીસે સુરપાલસિંહની ફરિયાદના આધારે કુલ 15 નામજોગ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસે BNSS ની કલમ 103(2) (હત્યા), 109(1) (હત્યાનો પ્રયાસ), 189 (ગેરકાયદે મંડળી), 190, 191 તથા જીપી એક્ટની કલમ 135 હેઠળ તપાસ હાથ ધરી છે. 15 સામે હત્યા રાયોટિંગનો ગુનો નોંધાયો: હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન પીઆઈ હરેશભાઇ હેરભાએ જણાવ્યું કે સુરપાલસિંહ માનસિંહ ઝાલાની ફરિયાદ આધારે 15 જણા વિરુદ્ધ હત્યા રાયોટિંગ સહિતનો ગુનો નોંધી ગામમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. ધર્મેન્દ્રસિંહે હિંમતનગર સિવિલમાં દમ તોડ્યો:હુમલા બાદ ગંભીર રીતે ઘવાયેલા ધર્મેન્દ્રસિંહ અને સુરપાલસિંહને તાત્કાલિક ખાનગી વાહનમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબે ધર્મેન્દ્રસિંહને મૃત જાહેર કર્યા હતા. હાલ સુરપાલસિંહ હિંમતનગરની પ્લુટો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ગુજકેટની પરીક્ષા:સાબરકાંઠામાં 3071 છાત્રો ગુજકેટ આપશે
હિંમતનગર| GUJCETની હોલ ટિકિટ આજથી ઓનલાઈન જાહેર કરી દેવાઇ છે. સાબરકાંઠા જિલ્લામાં 3071 છાત્રો આગામી 29 માર્ચના રોજ યોજાનારી આ પરીક્ષા આપશે. ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન આ બંને વિષયોનું સંયુક્ત પ્રશ્નપત્ર રહેશે. જેમાં કુલ 80 પ્રશ્નો (40 ભૌતિક વિજ્ઞાન અને 40 રસાયણ વિજ્ઞાન) પૂછાશે, જેના માટે 120 મિનિટનો સમય ફાળવાશે. જીવવિજ્ઞાન અને ગણિતના પ્રશ્નપત્રો અલગ-અલગ રહેશે અને દરેક માટે 60 મિનિટનો સમય અપાશે. આ પરીક્ષા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણેય માધ્યમમાં યોજાશે.
ઘઉંના પાકને મોટું નુકસાન થયું:ઠંડી ઓછી પડતાં ઘઉંની ગુણવત્તા બગડી,એક વીઘે 15 મણનો ઘટાડો
બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ચાલુ વર્ષે શિયાળામાં ઠંડીનું પ્રમાણ ઓછું રહેતા અને તાપમાનમાં સતત વધઘટ થતા ઘઉંના પાકને મોટું નુકસાન થયું છે. ઘઉંનો દાણો ઝીણો થતાં તેની ઉત્પાદન ઉપર પણ અસર પડી છે. એક વીઘા જમીનમાં 75 મણની સામે માર્ગ 60 મણનો ઉતારો થઈ રહ્યો છે. બીજી તરફ સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ કરતા માર્કેટયાર્ડમાં ઓછા ભાવ મળી રહ્યા હોય ખેડૂતોને બેવડું નુકસાન થઈ રહ્યું છે. સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સીઝન 2026-27 માટે ઘઉંના ટેકાના ભાવ રૂ. 2,585 પ્રતિ ક્વિન્ટલ, મણે આશરે રૂ. 517 જાહેર કરવામાં આવ્યા છે. તેની સામે ઘઉંની ગુણવત્તા નબળી હોવાથી હાલ યાર્ડમાં એક મણના ભાવ માંડ રૂ. 450 બોલાઈ રહ્યા છે. ખેડૂતોને સરકારી ટેકાના ભાવ કરતા પણ મણે રૂ. 67 જેટલા ઓછા મળી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં રવિ સિઝનમાં 1.80 લાખ હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર થયું હતું. આ અંગે ખેડૂતો મોંઘજીભાઈ ચૌધરી, હમીરજી ડામરાણી, વસંતભાઈ પ્રજાપતિ, મહેશભાઈ પટેલ સહિતે જણાવ્યું હતું કે, એક વીઘા દીઠ 75 મણ ઘઉંનું ઉત્પાદન મળતું હોય છે. પરંતુ આ વર્ષે પૂરતી ઠંડી ન પડવાને કારણે ઘઉંનો છોડ જોઈએ તેવો પાંગર્યો નથી. પરિણામે, ખેડૂતોને એક વીઘામાં માંડ 60 મણનું જરપણ મળી રહ્યું છે. એટલે કે સીધો 15 થી 20% જેટલો ફટકો પડતા ખેડૂતોની આર્થિક ગણતરીઓ ઊંધી વળી ગઈ છે. માત્ર જથ્થો જ નહીં, પણ ઘઉંની ગુણવત્તા પણ બગડી છે. ગરમીને કારણે ઘઉં ઉપડી ગયા હોવાથી દાણો ભરાવદાર થવાને બદલે એકદમ જીણો રહી ગયો છે. જેના કારણે માર્કેટ યાર્ડમાં ઘઉંની જોઈએ તેવી કિંમત ઉપજી રહી નથી. ટેકાના ભાવે નોંધણી કરવાની મુદ્દત વધારાઈ ભારતીય કિસાન સંઘ પાલનપુરના પ્રમુખ માવજીભાઈ લોહે જણાવ્યું કે, સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉં વેચવા માટે ઓનલાઈન નોંધણી કરવાની છેલ્લી તારીખ પહેલા 1 માર્ચ 2026 હતી. જે હવે 27 માર્ચ 2026 કરવામાં આવી છે. જે ખેડૂતોએ નોંધણી કરાવી હશે. તેમની પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવાની પ્રક્રિયા 4 માર્ચ, 2026 થી 15 મે, 2026 સુધી ચાલશે.
સિટી બસ સેવા અંગે મુસાફરોમાં અસંતોષ:પાલનપુરમાં નંબર વિના જ સિટીબસમાં દોઢ મહિનાથી દોડી રહી છે
પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં શરૂ કરાયેલી સિટી બસ સેવા અંગે મુસાફરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. કેટલાક કંડક્ટર મુસાફરોને બાકી છૂટા પૈસા આપતા નથી તેવી ફરિયાદો સામે આવી છે. બીજી તરફ બસ સેવા શરૂ થયા દોઢ મહિના જેટલો સમય થવા છતાં બસોને હજુ સુધી નંબર ફાળવાયા નથી. આ બંને મુદ્દાઓને લઇ પાલિકા સંચાલન સામે પ્રશ્નો ઉઠવા લાગ્યા છે. પાલનપુર નગરપાલિકા દ્વારા મુસાફરોની સુવિધા માટે શહેરમાં જુદા જુદા રૂટ પર સિટી બસ સેવા શરૂ કરવામાં આવી છે, પરંતુ શરૂઆત બાદ જ કેટલીક સમસ્યાઓ સામે આવવા લાગી છે. કેટલાક કંડક્ટર દ્વારા છૂટા પૈસા નથી તેમ કહી બાકી રકમ ન આપવાના આક્ષેપો ઉઠ્યા છે. બસપોર્ટથી કોઝી સુધી મુસાફરી કરનાર એક મુસાફરે 100 રૂપિયાની નોટ આપતા 5 રૂપિયાની ટિકિટ બદલામાં 90 રૂપિયા જ પરત મળ્યા અને બાકી 5 રૂપિયા માંગતા કંડક્ટરે છૂટા નથી કહી બસ હંકારતા મુસાફર નીચે ઉતરી ગયો હતો, જેને લઇ મુસાફરોમાં રોષ ફેલાયો છે. બીજી તરફ, સિટી બસ સેવા શરૂ થયા દોઢ મહિના જેટલો સમય થવા આવ્યો હોવા છતાં એક પણ બસને હજુ સુધી નંબર ફાળવાયો નથી. આરટીઓમાં પ્રક્રિયા ચાલી રહી છેટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન ભારતીબેન અંબાલાલ રંગવાણી મુજબ આ માટે આરટીઓમાં પ્રક્રિયા ચાલી રહી છે અને ટૂંક સમયમાં બસોને નંબર મળી જશે.
ગેસની પળોજળ:ગેસના બાટલા નહીં મળેના ભયથી બુકિંગમાં વધારો,ઓટીપી ચકાસણીના ચક્કરમાં કતારો
બનાસકાંઠા અને થરાદ વાવ જિલ્લામાં હોટલ ચા ની કીટલી સહિત વાણિજ્ય હેતુ માટે અપાતા ગેસનો પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. બીજી તરફ ઘરેલુ રાંધણ ગેસની બોટલના વિતરણ માટે ઓટીપીની રૂબરૂ ચકાસણી ફરજિયાત બનાવાઈ હોય એજન્સીઓ ઉપર ગ્રાહકોની કતાર જોવા મળી રહી છે. જોકે, ઘરેલુ ગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળતો હોવાનું એજન્સી ધારકો જણાવી રહ્યા છે. થરાદમાં સવારથી જ મહિલાઓ અને પુરુષો ગેસ સિલિન્ડર લેવા માટે લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યાં છે. રમીલાબેન દવે, કિશોરભાઈ પટેલ, ઉમેશભાઈ પ્રજાપતિ સાહિતે જણાવ્યું હતું કે, કલાકો સુધી રાહ જોતા હોવા છતાં સિલિન્ડર મળવામાં વિલંબ થઈ રહ્યો છે. ગેસ ડીલર નરસિંહભાઈએ જણાવ્યું હતું કે, હાલમાં ગેસ સિલિન્ડરની કોઈ અછત નથી. પરંતુ લોકોમાં ભય ફેલાવાને કારણે બુકિંગમાં અસામાન્ય વધારો થયો છે. સામાન્ય રીતે જે ગ્રાહકોને એક સિલિન્ડર ત્રણ મહિના સુધી ચાલતો હોય છે. તે ગ્રાહકો પણ સ્ટોક ખૂટવાની આશંકાથી એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે. જેના કારણે ગોડાઉન પર ભીડ વધતી જોવા મળી રહી છે. બુકિંગ કરાવ્યા બાદ ગ્રાહક દ્વારા ઓ. ટી. પી. આપવાનો હોય છે. જે ચકાસ્યા પછી જ સિલિન્ડર આપવામાં આવે છે. જેના કારણે પ્રક્રિયામાં થોડો સમય લાગે છે અને લાંબી લાઈનો જોવા મળે છે. નિયમિત રીતે 700-700 સિલિન્ડરનો જથ્થો આવી રહ્યો છે. તેથી ગેસ સિલિન્ડરની કોઈ અછત નથી. જોકે બુકિંગ વધવાને કારણે સિલિન્ડર પહોંચાડવામાં 4 થી 5 દિવસનો સમય લાગી શકે છે. ભીલડી પંથકમાં LPG ગેસ સિલિન્ડર લેવા લોકોની પડાપડી જોવા મળે છે..
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ઈરાન સાથે જોડાયેલા છે, ઈરાને ભારતને 3 જહાજો છોડવાની વિનંતી કરી છે. બીજા સમાચાર સનરાઈઝર્સ ટીમમાં પાકિસ્તાની ખેલાડીને લઈને છે. ગાવસ્કરે કહ્યું- આ ભારતીયોના જીવ સાથેની રમત છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. સંસદમાં બજેટ સત્રની કાર્યવાહીના બીજા તબક્કાનો 7મો દિવસ છે. આઠ વિપક્ષી સાંસદોનું સસ્પેન્શન હટાવવામાં આવી શકે છે. કાલના મોટા સમાચારો 1. બંગાળમાં ભાજપે 144 ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી:સુવેન્દુ અધિકારીને મમતાની બંને બેઠકો ભવાનીપુર-નંદીગ્રામથી ટિકિટ, કેરળમાં 47 ઉમેદવારોની જાહેરાત ભારતીય જનતા પાર્ટી (BJP) એ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. પ્રથમ યાદીમાં 144 ઉમેદવારોના નામ છે. પાર્ટીએ સુવેન્દુ અધિકારીને નંદીગ્રામ અને ભવાનીપુરથી ટિકિટ આપી છે. આ બંને બેઠકો બંગાળના CM મમતા બેનર્જીની છે. સુવેન્દુ અધિકારીએ 2021 વિધાનસભા ચૂંટણીમાં મમતાને નંદીગ્રામ બેઠક પરથી હરાવ્યા હતા. નંદીગ્રામમાં હાર પછી મમતા ભવાનીપુરથી પેટાચૂંટણી જીત્યા હતા. ભવાનીપુર બેઠક TMCનો મજબૂત ગઢ માનવામાં આવે છે. મમતા 2011 થી 2021 સુધી સતત અહીંથી ધારાસભ્ય રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ઈરાને ભારતે જપ્ત કરેલા 3 ટેન્કર છોડવાની માગ કરી: ભારતીય જહાજોને સુરક્ષિત રસ્તો આપવા અંગેની વાતચીત દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો ઈરાને ફેબ્રુઆરીમાં જપ્ત કરવામાં આવેલા તેના ત્રણ ટેન્કર છોડવાની માગ ભારત પાસે કરી છે. રોઇટર્સના રિપોર્ટ મુજબ, હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને સુરક્ષિત રસ્તો આપવા અંગેની વાતચીત દરમિયાન આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. બીજી તરફ UAEએ મોટો નિર્ણય લીધો છે. રિપોર્ટ મુજબ, ઈરાને ભારત પાસે કેટલીક દવાઓ અને મેડિકલ ઉપકરણોની સપ્લાયની માગ પણ કરી છે. આ મુદ્દા પર ઈરાનના રાજદૂતે સોમવારે નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે મુલાકાત કરીને ચર્ચા કરી હતી. ભારતે ફેબ્રુઆરીમાં એસ્ફાલ્ટ સ્ટાર, અલ જાફઝિયા, અને સ્ટેલર રૂબી નામના ત્રણ ટેન્કર જપ્ત કર્યા હતા. આરોપ છે કે આ જહાજોએ પોતાની ઓળખ છુપાવી હતી અને સમુદ્રમાં ગેરકાયદેસર રીતે 'શિપ-ટૂ-શિપ ટ્રાન્સફર'માં ભાગ લીધો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 3. રાજ્યસભા ચૂંટણી- NDAને 11માંથી 9 બેઠકો મળી:કોંગ્રેસ-BJDને 1-1 બેઠક; હરિયાણાના 88 મતની ગણતરીમાં 8 કલાક લાગ્યા હરિયાણા, બિહાર અને ઓડિશાની 11 રાજ્યસભા બેઠકો પર સોમવારે ચૂંટણી યોજાઈ. NDAએ 11માંથી 9 બેઠકો પર જીત મેળવી. બિહારની તમામ પાંચ બેઠકો પર NDAના ઉમેદવારો વિજયી રહ્યા. ઓડિશાની 4 બેઠકોમાંથી 3 NDA અને 1 BJDએ જીતી. કોંગ્રેસે હરિયાણામાં એક બેઠક પર જીત મેળવી. હરિયાણામાં 88 મતોની ગણતરીમાં 8 કલાકનો સમય લાગ્યો. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ઉઘડતી બજારે સોનું-ચાંદી સસ્તાં થયાં:સોનામાં ₹1900 ને ચાંદીમાં ₹16 હજારનો ઘડાટો; સોના-ચાંદીમાં રોકાણ કરાય કે ન કરાય? જાણો એક્સપર્ટ શું કહે છે સોના-ચાંદીમાં સતત બીજા કારોબારી દિવસે ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનું ₹1,963 ઘટીને ₹1.56 લાખ પર આવી ગયું છે. આ પહેલા 13 માર્ચે સોનું ₹1.58 લાખ પ્રતિ 10 ગ્રામ હતું. જ્યારે, એક કિલો ચાંદીની કિંમત ₹7,695 ઘટીને ₹2.53 લાખ પર આવી ગઈ છે. આ પહેલા શુક્રવારે તેની કિંમત ₹2.60 લાખ પ્રતિ કિલો હતી. અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે સોનું બે કારોબારી દિવસમાં ₹3,867 અને ચાંદી ₹15,508 સસ્તી થઈ છે. આ પહેલા 12 માર્ચે સોનું ₹1.60 લાખ અને ચાંદી ₹2.68 લાખ પર હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 5. કાવ્યા મારન પર સુનીલ ગાવસ્કર બરાબરના ભડક્યા:સનરાઇઝર્સમાં પાકિસ્તાની ખેલાડીની એન્ટ્રી પર કહ્યું- ભારતીયોના જીવ સાથે ચેડાં કરવા સમાન ઇંગ્લેન્ડની લીગ ધ હન્ડ્રેડમાં સનરાઇઝર્સ લીડ્સે પાકિસ્તાનના સ્પિનર અબરાર અહેમદને ખરીદ્યો હતો, જેના પર વિવાદ ઊભો થયો છે. આ નિર્ણય પર પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે આકરી પ્રતિક્રિયા આપી છે. ગાવસ્કરે કહ્યું કે ભારતીય માલિકો દ્વારા પાકિસ્તાની ખેલાડીઓને ખરીદવા એ ભારતીયોના જીવ સાથે ચેડા કરવા જેવું છે અને આવા નિર્ણયોથી બચવું જોઈએ. આ પૈસાથી ભારત વિરુદ્ધ લડવા માટે હથિયારો ખરીદવામાં આવે છે. 13 માર્ચે લંડનમાં થયેલા ઓક્શનમાં અબરારને ₹2.34 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. ઓક્શનમાં કાવ્યા મારન હાજર હતી, જે સનરાઇઝર્સની CEO છે. જેમની પાસે IPLની સનરાઇઝર્સ હૈદરાબાદ અને સાઉથ આફ્રિકા લીગ (SA20)ની ટીમ સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપ પણ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ઉનાના ચકચારી દલિતકાંડમાં 5 આરોપી દોષિત:ગાયનું ચામડું ઉતારી રહ્યા હોવાનો આરોપ લગાવી માર માર્યો હતો; દાયકા પછી સેશન્સ કોર્ટનો ચૂકાદો, 38 નિર્દોષ 11 જુલાઈ 2016ના દિવસે સૌરાષ્ટ્રના ઉનાના મોટા સમઢીયાળા ગામે અનુસૂચિત જાતિના લોકો પશુનું ચામડું ઉતારી રહ્યા હતા ત્યારે કેટલાક ગૌસેવકો પહોંચ્યા હતા અને મૃત પશુ ગાય છે અને ગૌહત્યા કરી છે, તેવો આરોપ મૂકીને અનુસૂચિત જાતિના ચાર લોકોને કાર પાછળ બાંધીને બેરહેમીથી માર માર્યો હતો. રાષ્ટ્રીય સ્તરે ચગેલા આ મુદ્દામાં દસ વર્ષ પછી ચૂકાદો આવ્યો છે. ઉનાના ચર્ચિત દલિતકાંડ કેસમાં આજે (16 માર્ચ 2026)ના રોજ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે. લાંબી કાનૂની પ્રક્રિયા બાદ અદાલતે આ કેસમાં 5 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે, જ્યારે અન્ય 38 વ્યક્તિઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. PNG-LPG બંને કનેક્શન હોય તો બુધવાર સુધીમાં સરેન્ડર કરવું પડશે:પરિવાર દીઠ 5 લિટર કેરોસીન અપાશે, ગુજરાતમાં ગેસ પુરવઠા પર સરકારનો નિર્ણય ગુજરાતમાં ગેસ પુરવઠા અંગે ઉભી થયેલી સ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર સક્રિય બની છે. હાલની આ પરિસ્થિતિને લઈ રાજ્ય સરકારે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. ગાંધીનગર વિધાનસભા પરિસર ખાતે રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2026-27ના અંદાજપત્ર અંતર્ગત અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં LPG અંગેના કોઈ પ્રશ્ન માટે નાગરિકોને રાજ્ય હેલ્પલાઇન નંબર 1800-232-0222નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. આ પત્રકાર પરિષદમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધારે LPGના પુરવઠા અંગેના પ્રશ્નો અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ઘરેલુ LPG સિલિન્ડરનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : સરકારી હોસ્પિટલમાં આગ, 10 દર્દીઓ ભડથું:લોકોને બચાવવામાં 11 કર્મચારીઓ દાઝ્યાં; ઓડિશાના CM કટકની હોસ્પિટલે પહોંચ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ટ્રમ્પનું 'મિશન ઈમ્પોસિબલ':ઈરાનને હરાવવાની ઉતાવળમાં US પોતે જ ગૂંચવાયું, એક્સપર્ટ્સે કહ્યું- તેહરાન પાસે હજુ પણ બાજી પલટાવવાની તાકાત વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : રાજ્યસભામાં LPG સંકટ પર હોબાળો:ખડગેએ કહ્યું- સરકારને પહેલાથી ખબર હતી, વ્યવસ્થા કેમ ન કરી; લોકસભામાં હોબાળા વગર પ્રશ્નકાળ પૂરો વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : 'બ્રાહ્મણો જાઓ અને યૂરિન પીઓ':કેનેડામાં હિંદુ યુવક સાથે મારઝૂડનો VIDEO, ખાલીસ્તાનીએ ગાળો આપી; PM મોદીનો આભાર માનવા રેલી કાઢી હતી વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : જથ્થાબંધ મોંઘવારી 12 મહિનામાં સૌથી વધુ:ફેબ્રુઆરીમાં તે 2.13% પર પહોંચી, ખાદ્યપદાર્થો અને રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થઈ વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં IPL મેચ હોસ્ટ કરવાની પરવાનગી મળી:RCB ની વિક્ટરી સેરેમનીમાં ભાગદોડ પછી રોક લગાવવામાં આવી હતી, અહીં ઓપનિંગ મેચ રમાશે વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : 19 માર્ચથી ચૈત્ર નવરાત્રિ:હિંદુ નવવર્ષ વિક્રમ સંવત 2083માં 13 મહિના આવશે, જાણો દેવીના નવ સ્વરૂપોની પૂજાનું મહત્વ વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ લીંબુ-પાણી પીવા બદલ ગેસ ચાર્જ ચૂકવવો પડ્યો બેંગલુરુના એક કેફેમાં લેમોનેડ (લીંબુ પાણી)ના ઓર્ડર પર 5% 'ગેસ ક્રાઈસિસ ચાર્જ' લગાવવામાં આવ્યો. એક ગ્રાહકે X પર બિલનો ફોટો શેર કર્યો. બે ડ્રિંક્સ માટે તેણે 358 રૂપિયા આપવાના હતા, પરંતુ CGST, SGST અને 5% ગેસ ક્રાઈસિસ ચાર્જ પછી તેણે 374 રૂપિયા ચૂકવવા પડ્યા. X પર બિલનો ફોટો શેર થતા જ યુઝર્સે કેફેની ટીકા કરી. લોકોએ સવાલ પૂછ્યો કે લીંબુ પાણી બનાવવામાં આખરે કયા ગેસનો ઉપયોગ થાય છે, જેના માટે આ 'ક્રાઈસિસ શુલ્ક' વસૂલવામાં આવી રહ્યો છે? ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. શિકાગોમાં આસારામ બનવા નીકળ્યા ‘બીજા સ્વામી વિવેકાનંદ’: એક સ્પીચ આપી ને કરોડોનો વરસાદ થયો, જુઓ વીડિયો સિરીઝનો નવો થ્રિલિંગ એપિસોડ 2. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : ભણો કે ન ભણો, ડિગ્રી લઈને મોજ કરો!: વેરાવળમાં કોંગ્રેસના જોટવા પરિવારની કોલેજમાં ગેરરીતિનો ઘટસ્ફોટ, કાગળ પર સેંકડો વિદ્યાર્થી, ચોરી રોકનાર સ્ક્વોડને પડ્યો હતો માર 3. આજનું એક્સપ્લેનર: ટ્રમ્પને ચીન-જાપાન પાસેથી મદદ શા માટે માગવી પડી, શું અમેરિકા ઈરાનથી હારી રહ્યું છે; હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવું આટલું મુશ્કેલ કેમ? 4. એરફોર્સના રિટાયર્ડ ગુજરાતી અધિકારી 1.25 કરોડમાં જાયરોકોપ્ટર વેચશે: એન્જિન ફેલ થઇ જાય તો પણ લેન્ડ થઇ શકે, જોયરાઇડથી લઇને સુરક્ષા માટે પણ ઉપયોગ થઇ શકશે 5. મંડે મેગા સ્ટોરી : ઈરાન યુદ્ધ વચ્ચે લેબનોન કબજે કરવામાં વ્યસ્ત નેતન્યાહુ: આખરે 'ગ્રેટર ઇઝરાયલ'નું સ્વપ્ન શું છે; શું આ કારણે 29 મહિનાથી યુદ્ધ ચાલુ છે 6. Editor's View: ઇરાન યુદ્ધથી 16 દેશમાં હાહાકાર: મોંઘવારી-ભૂખમરાનો અજગર ભરડો, ગેસથી ખતરનાક ખાતર સંકટ, દુનિયામાં ભયાનક અસર, ગલ્ફમાં 90 લાખ ભારતીયો મુશ્કેલીમાં કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ મંગળવારનું રાશિફળ: મેષ રાશિને નવા પ્રોજેક્ટમાં રોકાણ માટે ગ્રહદશા અત્યંત અનુકૂળ, વૃશ્ચિક જાતકોના પ્રેમ સંબંધોને પરિવારની મંજૂરી મળશે વાંચો સંપૂર્ણ રાશિફળ
ઉત્તર ગુજરાતમાં તમે જે ઘી, પનીર કે દૂધ ખાઓ છો તે શુદ્ધ જ હશે એવું માનતા હોવ તો ચેતી જજો! તાજેતરમાં વિધાનસભા સત્રમાં થયેલી પ્રશ્નોત્તરીમાં ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લા ભેળસેળનું હબ બની ગયા હોવાનું સામે આવ્યું છે. છેલ્લા બે વર્ષમાં ડૂડ વિભાગે લીધેલા 3546 નમૂના પૈકી 275 નમૂના ફેઈલ થયા છે. જ્યારે 320 નમૂના હજુ ચકાસણી હેઠળ છે. સૌથી ચોંકાવનારી વિગત એ છે કે, ભેળસેળયુક્ત 1.30 લાખ કિલો ઘી અને પનીર તેમજ અન્ય ખાદ્યપદાર્થો લોકોના પેટમાં જાય તે પહેલાં તંત્રએ આ ષડયંત્ર પકડી પાડ્યું હતું. ફેઈલ થયેલા નમૂનાઓની કાર્યવાહી હેઠળ, રૂ.3.78 કરોડનું 83,693 કિલો ઘી તેમજ રૂ.11.88 લાખનું 5,056 કિલો પનીર જપ્ત કરાયું છે. આ ઉપરાંત રૂ.1.62 લાખની કિંમતનું 4,793 લિટર દૂધ, રૂ.52.81 લાખના 41,772 કિલો અન્ય ખાદ્યપદાર્થો જપ્ત કરાયા છે. આ મામલે કુલ 154 એડજ્યુડીકેટીંગ કેસ અને 19 કોર્ટ કેસ કરાયા છે. આ કેસો અન્વયે અત્યાર સુધીમાં રૂ.1.51 કરોડનો દંડ ફટકારાયો છે. તેમજ 105 કેસોમાં કાર્યવાહી હાલ પ્રગતિ હેઠળ છે. મહેસાણામાં 1.43 કરોડના ખાદ્યપદાર્થો જપ્ત મહેસાણા જિલ્લામાં લેવાયેલા કુલ 807 નમૂનામાંથી 56 નમૂના ફેઈલ જાહેર થયા છે, જ્યારે 85 નમૂના હજુ તપાસ હેઠળ છે. કાર્યવાહી દરમિયાન રૂ.1.11 કરોડની કિંમતનું 25,591 કિલો ઘી, રૂ.8.24 લાખનું 3,517 કિલો પનીર તથા રૂ.24.46 લાખના 18,102 કિલો અન્ય ખાદ્યપદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે. આ મામલે 14 એડજ્યુડીકેટીંગ કેસ અને 10 કોર્ટ કેસ નોંધાયા છે તેમજ રૂ.19.05 લાખનો દંડ ફટકારાયો છે. હાલ વધુ 32 કેસોમાં કાર્યવાહી ચાલુ છે. અરવલ્લીમાં 22.03 લાખનું ઘી જપ્તઅરવલ્લી જિલ્લામાં લેવાયેલા 401 નમૂનામાંથી 12 નમૂના ફેઈલ જાહેર થયા છે. કાર્યવાહી હેઠળ રૂ.22.03 લાખનું 3,953 કિલો ઘી જપ્ત કરવામાં આવ્યું છે. આ મામલે 8 એડજ્યુડીકેટીંગ અને 4 કોર્ટ કેસ નોંધાયા છે અને રૂ.30 હજારનો દંડ ફટકારાયો છે. પાટણમાં 91.55 લાખના ખાદ્યપદાર્થો જપ્ત પાટણ જિલ્લામાં લેવાયેલા 703 નમૂનામાંથી 61 નમૂના ફેઈલ જાહેર થયા છે, જ્યારે 135 નમૂના તપાસ હેઠળ છે. કાર્યવાહી દરમિયાન રૂ.73.86 લાખનું 23,943 કિલો ઘી, રૂ.1.97 લાખનું 845 કિલો પનીર તથા રૂ.15.72 લાખના 14,757 કિલો અન્ય ખાદ્યપદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે. આ મામલે 38 એડજ્યુડીકેટીંગ કેસ નોંધાયા છે અને વધુ 23 કેસોમાં કાર્યવાહી ચાલુ છે. સાબરકાંઠામાં 1.83 લાખનું ઘી જપ્ત, 7.78 લાખ દંડ સાબરકાંઠા જિલ્લામાં લેવાયેલા 631 નમૂનામાંથી 17 નમૂના ફેઈલ જાહેર થયા છે. કાર્યવાહી હેઠળ રૂ.1.83 લાખનું 256 કિલો ઘી જપ્ત કરાયું છે. આ મામલે 11 એડજ્યુડીકેટીંગ અને 2 કોર્ટ કેસ નોંધાયા છે તથા રૂ.7.78 લાખનો દંડ ફટકારાયો છે. અન્ય 4 કેસો કાર્યવાહીમાં છે. બ.કાં.માં 1.85 કરોડના ઘી-દૂધ-પનીર જપ્તબનાસકાંઠા જિલ્લામાં લેવાયેલા 1004 નમૂનામાંથી 132 નમૂના ફેઈલજાહેર થયા છે, જ્યારે 100 નમૂના તપાસ હેઠળ છે. કાર્યવાહીદરમિયાન રૂ.1.69 કરોડનું 29,949 કિલો ઘી, 4,793 લીટર દૂધ તથા694 કિલો પનીર જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રૂ.12.63લાખના અન્ય ખાદ્યપદાર્થો પણ જપ્ત કરાયા છે. આ કેસોમાં 83એડજ્યુડીકેટીંગ અને 3 કોર્ટ કેસ નોંધાયા છે તથા રૂ.1.24 કરોડનો દંડફટકારાયો છે. 46 કેસોમાં કાર્યવાહી હેઠળ છે.
પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન સૈદ્ધાંતિક મંજૂરી વગર ચાલતી 100 કોલેજો માટે માઠા સમાચાર સામે આવ્યા છે.જેમાં યુનિવર્સિટી દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી માટે મોકલવામાં આવેલી 180 કોલેજોની દરખાસ્તો ( ફાઇલો ) પૈકી 100 જેટલી ફાઈલો રાજ્યના શિક્ષણ કમિશનર દ્વારા પરત મોકલવામાં આવી છે. આ ફાઈલોમાં જરૂરી શરતોનું પરિપાલન ન થયું હોવાનું અને પાયાના ડોક્યુમેન્ટ્સ ખૂટતા હોવાનું સામે આવતા કોલેજો દોડતી થઈ છે. પુનઃ જોડાણ માટેની પ્રક્રિયા સહિત પ્રવેશ પ્રક્રિયા આગામી મે માં શરૂ થતી હોય જો અંદાજે 45 દિવસની અંદર કોલેજો ખૂટતી બાબતોની પૂર્તતા કરીને કોલેજો દ્વારા સરકાર માંથી મંજૂરી લેવા માં નહિ આવે તો નવા શૈક્ષણિક વર્ષમાં પુનઃ જોડાણ સાથે પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. યુનિવર્સિટી દ્વારા કોલેજો પાસેથી તમામ વિગતો મેળવીને એકેડમીક વિભાગ દ્વારા કુલ 180 કોલેજોની સરકાર સમક્ષ સૈંધ્ધતિક મંજૂરી મેળવવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્રણ માસ પૂર્વે આ તમામ ફાઈલો સરકારમાં મોકલી દેવામાં આવી છે.જોકે સરકારી સ્તરે થયેલી ચકાસણીમાં આશ્ચર્યજનક રીતે માત્ર એક જ કોલેજને મંજૂરી મળી છે. બાકીની 179 પૈકી 100 ફાઈલો તો સીધી જ રિજેક્ટ કરીને પરત મોકલી દેવામાં આવી છે. આ ગંભીર બાબતને જોતા સરકારની વિશેષ કમિટી યુનિવર્સિટી ખાતે રૂબરૂ આવી હતી. આ કમિટી પાંચ દિવસ સુધી રોકાઈને દરેક ફાઈલનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો હતો. કમિટીએ યુનિવર્સિટી પ્રશાસનને કડક સૂચના આપી છે કે, તમામ ક્ષતિઓ તાત્કાલિક દૂર કરી ફરીથી દરખાસ્ત મોકલવામાં આવે જેથી બાકી કોલેજોને ઝડપથી સૈદ્ધાંતિક મંજૂરી આપી શકાય છે. કમિશનર કચેરીના આદેશ બાદ હવે યુનિવર્સિટી દ્વારા જે-તે કોલેજોને પૂરતા ડોક્યુમેન્ટ્સ સાથે હાજર થવા અને ક્ષતિઓ દૂર કરવા તાકીદ કરવામાં આવી છે. જેથી કોલેજો હવે દોડતી થઈ ગઈ છે. આ કારણોસર ફાઈલો રિજેક્ટ થઈ?
ભાસ્કર વિશેષ:પાટણમાં પરંપરા જીવંત રાખવા લગ્ન ગીતોત્સવ
આજના આધુનિક યુગમાં જ્યારે લગ્ન પ્રસંગોમાં પરંપરાગત ગીતોનું સ્થાન ડીજે અને ફિલ્મી ગીતોએ લીધું છે, ત્યારે આપણી અમૂલ્ય સંસ્કૃતિને બચાવવા ભારત વિકાસ પરિષદ પાટણ શાખાની મહિલા ટીમ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. શનિવારે વાઘેશ્વરી માતાની વાડી ખાતે લગ્ન ગીતોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં પાટણ શહેરની 10 ટીમોએ ઉત્સાહભેર ભાગ લઈ લગ્નની વિવિધ વિધિઓને ગીતો દ્વારા જીવંત કરી હતી. કાર્યક્રમની ખાસિયત એ હતી કે તેમાં ભાગ લેનાર ટીમોના નામ પણ કંકોત્રી, માણેકસ્થંભ, મામેરું, મીંઢળ, પાનેતર, મંગલસૂત્ર અને સપ્તપદી જેવા લગ્ન સંસ્કારો પર રાખવામાં આવ્યા હતા. બે નાની દીકરીઓને વર-વધૂ બનાવીને મંડપ જેવો માહોલ ઊભો કરાયો હતો. ગણેશ સ્થાપનાથી લઈ આશીર્વાદ વિધિ સુધીના ગીતો અને હસાવતા ફટાણા સાંભળીને ઉપસ્થિત મહેમાનો મંત્રમુગ્ધ બન્યા હતા.મહિલા સહભાગીતા મમતાબેન ગાંધીએ જણાવ્યું હતું કે લગ્ન ગીતો અને ફટાણા એ આપણી ભારતીય સંસ્કૃતિની ઓળખ છે. નવી પેઢી આ વારસાથી અજાણ ન રહે અને જનજાગૃતિ આવે તે માટે આ આયોજન કરાયું છે. પ્રમુખ પૂર્ણિમાબેન મોદી અને મંત્રી મમતાબેન ખમારના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં અશ્વિનભાઈ સોની (અંબિકા જ્વેલર્સ) એ ખાસ ઉપસ્થિત રહી સંસ્થાના કાર્યોને બિરદાવ્યા હતા. તમામ સહભાગીઓને પ્રોત્સાહિત ઈનામો આપી નવાજવામાં આવ્યા હતા.
ગંભીર અકસ્માત સર્જાયો:સમીમાં ડાલા પાછળ કાર ઘૂસી જતાં એકને ઇજા
સમી નજીક આવેલા ચાર રસ્તા પાસે પીકઅપ ડાલું અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરું ખાલી કરીને રાપર તરફ જઈ રહેલા પીકઅપ ડાલાની પાછળ પૂરપાટ ઝડપે આવતી એક કાર ધડાકાભેર અથડાઈ હતી. પીકઅપ પાછળ અથડાયેલી કાર પર ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું બોર્ડ મારેલું હતું, જે અકસ્માત બાદ ક્ષતિગ્રસ્ત હાલતમાં જોવા મળી હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિને શરીરે ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ સમી પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને વાહનોને માર્ગ પરથી હટાવી ટ્રાફિક હળવો કરાવ્યો હતો.
માત્ર 100ના ટોકન દરે વ્હીલચેર, બેડ અપાશે:જરૂરિયાતમંદ દર્દીઓને મેડિકલ સાધનો રાહત દરે વિતરણ કરાશે
પાટણવાડા ગુરુ બ્રાહ્મણ સમાલ પરગણા સમાજ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતા મેડિકલ સર્જીકલ સેવા કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સમાલ પરગણા શિક્ષણ સંકુલ ખાતે આયોજિત ઉદ્ઘાટન પ્રસંગે પાટણના જાગૃત નગરસેવક રાજેન્દ્રભાઈ હિરવાણીયાએ હાજરી આપી સાધનોનું નિરીક્ષણ કર્યું હતું અને સમાજની આ સરાહનીય કામગીરીને બિરદાવી હતી. સંયોજક વિનોદભાઈ કરલિયાએ જણાવ્યું હતું કે, ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને મોંઘા સાધનો ખરીદવા ન પડે તે હેતુથી મેડિકલ બેડ, વ્હીલચેર, ટોઇલેટ ચેર, હોકર અને વોકર જેવા સાધનો માત્ર રૂ. 100ના રાહત દરે પૂરા પાડવામાં આવશે. આ સેવા કાર્યમાં પ્રવિણભાઇ સાધુ, પૂર્વ ડિરેક્ટર અરુણકુમાર સાધુ અને હરેશભાઈ કરલિયા સહિતની ટીમે જહેમત ઉઠાવી છે. સમાજના દાતાઓના સહયોગથી શરૂ થયેલા આ પ્રોજેક્ટથી અનેક દર્દીઓને મોટી રાહત મળશે.
પ્રાંત હિરેન ચૌહાણે પાલિકાનો ચાર્જ સંભાળ્યો:પાટણ પાલિકામાં 99 વર્ષમાં 8મી વાર વહીવટદાર શાસન
પાટણ પાલિકાના 1927માં પ્રથમ પ્રમુખ છોટાલાલ કિલાચંદ શેઠના સમયથી શરૂ થયેલી પાટણ પાલિકાની સફરમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા છે. 1927થી 2021 સુધીમાં કુલ 7 વખત લોકશાહી ઢબે ચૂંટાયેલી પાંખના સ્થાને વહીવટદારોએ શાસન કર્યું છે. ખાસ કરીને 1993થી 1995નો સમયગાળો પાલિકા માટે સૌથી અસ્થિર રહ્યો હતો, જેમાં અંદાજે સવા વર્ષના ટૂંકા ગાળામાં જ 4 જેટલા વહીવટદારો બદલાયા હતા. ત્યારે સોમવારે ચૂંટાયેલા પ્રતિનિધિઓનું પાંચ વર્ષનું સત્ર પૂર્ણ થતા આઠમી વાર વહીવટદાર શાસન અમલમાં આવ્યું છે. પાટણ પ્રાંત અધિકારી હિરેન ચૌહાણએ પાટણ પાલિકાના વહીવટદાર તરીકે ચાર્જ સંભાળ્યો હતો. જે આગામી મે-2026માં નગરપાલિકાની 44 બેઠકો માટે સામાન્ય ચૂંટણી યોજાયા બાદ નવા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિની રચના ન થાય ત્યાં સુધી પાલિકાનો તમામ મર્યાદિત વહીવટ વહીવટદાર હસ્તક રહેશે. આમ, આગામી બે મહિના સુધી પાટણના વિકાસકાર્યો અને વહીવટી નિર્ણયો પર સરકારી મહોર વાગશે. ચીફ ઓફિસર હિરલ ઠાકરે જણાવ્યું હતું કે વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી પાસે નગરપાલિકાની કારોબારી અને સામાન્ય સભા બંનેની સત્તાઓ તેમની પાસે હોય છે. ચાર રસ્તા થી ડીસા હાઈવે ઉપર સિટીના ભાગમાં સ્વચ્છતા કરવા સૂચના આપી હતી એ સૂચના નું અમલવારી કરી કામગીરી હાથ ધરાઈ હતી.
વસ્તી ગણતરી:પાટણમાં 2800 કર્મચારીઓ મોબાઈલ એપથી ઘર-ઘર જઈ વસ્તી ગણતરી કરશે
પાટણમાં 2800 કર્મચારીઓ પેન-કાગળના બદલે મોબાઈલ એપથી ઘર-ઘર જઈ વસ્તી ગણતરી કરશે. કોરોના કાળમાં વર્ષ 2021માં મોકૂફ રહેલ વસ્તી ગણતરી હવે પ્રથમવાર દેશમાં ડિજિટલ રીતે કરવામાં આવનાર છે. જેમાં પાટણ જિલ્લામાં તૈયારીઓ શરૂ કરાઇ છે. જિલ્લામાં આગામી 20 એપ્રિલ થી આશરે 2800 જેટલા અધિકારી કર્મચારીઓ ડિજિટલ એપ મારફતે વસ્તી ગણતરી કરશે. જેમાં 700થી 800 લોકો વચ્ચે એક ગણતરીદાર કર્મચારી મૂકાશે. જે પૂર્વે સોમવારે પાટણ કલેક્ટર કચેરી ખાતે ગણતરી કરનાર કર્મચારીઓને ફિલ્ડમાં કામગીરી અંગે માહિતગાર કરવા માટે તાલીમનો પ્રારંભ થયો હતો. આ જનગણના બે તબક્કામાં ગણતરી 20 એપ્રિલથી 19 મે 2026 દરમિયાન હાથ ધરાશે. જેમાં પ્રથમ તબક્કામાં ઘરોની લિસ્ટિંગ આ સમયગાળા દરમિયાન ઘરોની સ્થિતિ, નિર્માણ સામગ્રી, સ્થાન, મૂળભૂત સુવિધાઓ વગેરેની માહિતી એકત્ર કરવામાં આવશે. આ પ્રક્રિયા લગભગ 31 દિવસ ચાલશે. 20 એપ્રિલથી ગણતરીનો પ્રારંભ, ઘરની છતથી લઈને સભ્યો સહિત ઈન્ટરનેટ સુધીના ૩૩ પ્રશ્નો પૂછાશે. બીજા તબક્કામાં - જનગણના આ તબક્કામાં વસ્તી, જાતિ, ધર્મ, શિક્ષણ, રોજગારની ગણતરી કરાશે. પ્રથમ તબક્કા તરીકે હાઉસ લિસ્ટિંગ ઓપરેશન અંતર્ગત ઘરપાદી અને મકાનોની આ તબક્કામાં ગણતરીદારો દ્વારા આવાસની સ્થિતિ, કુટુંબને ઉપલબ્ધ સુવિધાઓ તેમજ અસ્ક્યામતો સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવશે. પાટણ જિલ્લામાં આ કામગીરી સુચારુ રીતે પાર પાડવા અગાઉ મામલતદારો અને ચીફ ઓફિસરોને તાલીમ આપવામાં આવી હતી. હવે ફિલ્ડ ટ્રેનર્સ માટે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કલેક્ટર કચેરી ખાતેના નવા કોન્ફરન્સ હોલમાં 16 થી 18 માર્ચ દરમિયાન યોજનાર આ તાલીમ કાર્યક્રમની શરૂઆત સોમવારે સવારે 10:30 કલાકે થઈ હતી. એપ્લિકેશન દ્વારા કુટુંબોની માહિતી નોંધાશે આ વખતની જનગણના અનેક રીતે વિશેષ બનવાની છે, કારણ કે દેશમાં પ્રથમ વખત જનગણનાનો ડેટા ડિજિટલ સાધનો દ્વારા એકત્રિત કરવામાં આવશે. ગણતરીદારો પોતાના સ્માર્ટફોનમાં ઉપલબ્ધ નિર્ધારિત મોબાઇલ એપ્લિકેશન દ્વારા ઘરો અને કુટુંબોની માહિતી નોંધશે. લોકોને સ્વ-ગણતરી કરવાની સુવિધા પણ આપવામાં આવી છે. લોકો 5 એપ્રિલથી 19 એપ્રિલ 2026 દરમિયાન નિર્ધારિત વેબ પોર્ટલ મારફતે પોતાની વિગતો ઓનલાઈન નોંધાવી શકશે. લોકોને આ પ્રશ્નો પૂછાશેઆગામી જનગણનામાં દરેકપરિવારને 33 પ્રશ્નો પૂછવામાંઆવશે. તેમાં પરિવારનાસભ્યોની સંખ્યા, ઉમર, લિંગ,વૈવાહિક સ્થિતિ, શિક્ષણ,વ્યવસાય, જન્મસ્થાન, સ્થળાંતર,માતા-પિતાની વિગતો,દિવ્યાંગતા અથવા સામાજિક વર્ગજેવી માહિતી સામેલરહેશે.ઘરના પ્રકાર, પાણી,શૌચાલય, વીજળી, રસોઈઈંધણઅને ઈન્ટરનેટ જેવી સુવિધાઓવિશે પણ પ્રશ્નો પૂછાશે.
ભાસ્કર એક્સક્લુસિવ:પાટણ જિલ્લામાં પાંચ વર્ષમાં 43,250 નવા વાહનોની ખરીદી જેમાં 40 હજાર ટુ વ્હીલર
પાટણ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષ મોજશોખ અને બદલાતી જીવનશૈલીના કારણે 2021 થી 2025 દરમિયાન વાહન ખરીદીમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. જેમાં જિલ્લામાં કુલ 43,250 નવા વાહનોની ખરીદી થઈ છે. ખાસ કરીને મધ્યમ વર્ગમાં ટુ-વ્હીલર અને ઉચ્ચ મધ્યમ વર્ગમાં કાર ખરીદવાનું પ્રમાણ વધ્યું છે. આ તેજી પાછળનું મુખ્ય કારણ બેંકો દ્વારા સરળતાથી મળતી લોન અને ફાઇનાન્સ કંપનીઓ દ્વારા આપવામાં આવતી આકર્ષક સ્કીમો માનવામાં આવી રહી છે. પાટણ જિલ્લામાં પાંચ વર્ષમાં અંદાજે 40,000 નવી બાઇક અને સ્કૂટર રજિસ્ટર થયા છે. યુવાનોમાં સ્પોર્ટ્સ બાઇક અને મહિલાઓમાં ગિયરલેસ સ્કૂટરની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. ઓફિસ જનારા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માટે ટુ-વ્હીલર હવે મોજશોખને બદલે અનિવાર્ય જરૂરિયાત બની ગયું છે.તેમજ 1800 લક્ઝરી અને ફેમિલી કાર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કાર ખરીદવાનો ટ્રેન્ડ પણ તેજ બન્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં 1,800 થી વધુ નવી મોટર કાર પાટણના આરટીઓ ચોપડે નોંધાઈ છે. કાર લોન સરળ બનવાથી મધ્યમ વર્ગ માટે કાર ખરીદવી હવે ઘણી સરળ બની ગઈ છે. કારની કુલ કિંમતના લગભગ 90 ટકા સુધી લોન મળતી હોવાથી ગ્રાહકને શરૂઆતમાં માત્ર 10 ટકા જેટલી ડાઉન પેમેન્ટ (DP) જ ભરવી પડે છે, જેના કારણે નાણાકીય બોજો ઓછો થાય છે. બેંક અને ફાઈનાન્સ કંપનીઓ દ્વારા આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચેક જેવા મૂળભૂત દસ્તાવેજોના આધારે ઝડપી લોન મંજૂર થતી હોવાથી પ્રક્રિયા પણ સરળ અને ઝડપી બની છે. સરળ લોન સુવિધા કારણે વાહન ખરીદી વધે છે. તેવું પાટણ ડિસ્ટ્રિક્ટ મેનેજર કુલદીપસિંહ ગેલોતે જણાવ્યું હતું. 65 કાર અને 70 ટુ વ્હીલર લોન પર ખરીદાયા અંદાજે 1,200 થી વધુ કારો (કુલ કારના લગભગ 70ટકા) બેંકો અથવા ખાનગી ફાયનાન્સ કંપનીઓ દ્વારા લોન પર લેવામાં આવી છે.તેમજ અંદાજે 28,000 થી વધુ બાઈક અને સ્કૂટર હપ્તા પર ખરીદવામાં આવ્યા છે. મધ્યમ વર્ગમાં લોન દ્વારા ટુ-વ્હીલર લેવાનો ક્રેઝ સૌથી વધુ જોવા મળ્યો છે. અને ખેતીવાડી માટેના 800 થી વધુ ટ્રેક્ટરો અને મોટાભાગના માલવાહક વાહનો બેંક લોન દ્વારા રજિસ્ટર થયેલા છે.
ભાસ્કર એક્સક્લુસિવ:પાટણ-સિદ્ધપુરમાં PNG ગ્રાહકોના LPG કનેક્શન આજથી રદ કરાશે
રાજ્યમાં ગેસ પુરવઠાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે પીએનજી પાઇપ લાઇન ગેસ ધરાવતા ગ્રાહકોને એલપીજી ગેસ કનેક્શન આપવામાં નહીં આવે. તેના ભાગરૂપે પાટણ જિલ્લામાં પાટણ અને સિદ્ધપુર શહેરમાં પીએનજી ગેસ કનેક્શન ધરાવતા લોકોના એલપીજી ગેસ કનેક્શન રદ કરવાની પ્રક્રિયા આજે મંગળવારથી શરૂ કરવામાં આવશે. સાથે જ આવા ગ્રાહકોને પોતાના એલપીજી સિલિન્ડર સરેન્ડર કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. જિલ્લામાં પાટણ અને સિદ્ધપુર શહેરમાં આશરે 21 હજાર જેટલા પીએનજી પાઇપલાઇન ગેસ કનેક્શન છે. જેમાંથી અંદાજે 17 હજાર કનેક્શન પાટણ શહેરમાં અને આશરે 4 હજાર કનેક્શન સિદ્ધપુર શહેરમાં નોંધાયેલા છે. જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા સાબરમતી ગેસ એજન્સી પાસેથી પીએનજી ગેસ ગ્રાહકોની યાદી મેળવી તેને સંબંધિત ગેસ એજન્સીઓ, મામલતદારો તેમજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓને મોકલવામાં આવી છે. આ યાદી આધારે પીએનજી ગેસ કનેક્શન ધરાવતા લોકો પાસે એલપીજી કનેક્શન છે કે નહીં તેની ચકાસણી શરૂ કરવામાં આવી છે. જો આવા ગ્રાહકો પાસે એલપીજી કનેક્શન હોવાનું સામે આવશે તો તે કનેક્શન રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.સાથે જ સંબંધિત ગ્રાહકોને તેમના એલપીજી સિલિન્ડર સરેન્ડર કરવા માટે પણ અનુરોધ કરવામાં આવશે, એવી માહિતી જિલ્લા પુરવઠા તંત્રના સૂત્રોએ આપી હતી. મોનિટરિંગ માટે જિલ્લામાં કુલ 19 ગેસ એજન્સીઓ પર મહેસૂલ અને પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે, જેથી ગેસ બોટલના સપ્લાય અને વિતરણ પર સતત દેખરેખ રાખી શકાશે. ગેસ બોટલનું અનધિકૃત વેચાણ ન થાય તે માટે પુરવઠા તંત્ર દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે.ગ્રાહકોને સરળતા રહે તે માટે ગેસ બોટલ બુકિંગ માટે ઓનલાઈન વેબસાઈટ, મોબાઈલ એપ્લિકેશન, IVRS, મિસ્ડ કોલ અને વોટ્સએપ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. બુકિંગ થયેલ ગેસ બોટલ ગ્રાહકોના ઘરે હોમ ડિલિવરી દ્વારા પહોંચાડવામાં આવશે.જેથી લોકોને ગેસ એજન્સી અથવા ગોડાઉન પર ભીડ ન કરવા અને ઓનલાઈન અથવા અન્ય માધ્યમો દ્વારા બુકિંગ કરી હોમ ડિલિવરીની સુવિધાનો લાભ લેવા તંત્ર દ્વારા જણાવાયું છે. રિફિલિંગ બંધ કરી, કનેક્શન હશે તો રદ કરાશે જિલ્લા પુરવઠા અધિકારી હેમાંગીબેન ગુર્જરે જણાવ્યું હતું કે પાટણ અને સિદ્ધપુરમાં પીએનજી ગેસ કનેક્શન ધરાવતા ગ્રાહકોને હવે એલપીજી ગેસ કનેક્શન આપવામાં આવશે નહીં. તેમની પાસે રહેલ એલપીજી સિલિન્ડરનું રિફિલિંગ પણ કરવામાં આવશે નહીં અને તેમની પાસે જો એલપીજી કનેક્શન હશે તો તે પણ રદ કરવામાં આવ ઉપરાંત સંબંધિત ગ્રાહકોને તેમના સિલિન્ડર સરેન્ડર કરાવવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પીએનજી કનેક્શન છે, તેમને એલપીજી નહીં મળેજિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટે જણાવ્યું હતું કે જેમની પાસે પીએનજી ગેસ કનેક્શન છે તેમનાએલપીજી કનેક્શન માટે કોઈપણ પ્રકારનું બુકિંગ સ્વીકારવામાં ન આવે તે માટે તમામ ગેસડીલરોને સૂચના આપવામાં આવી છે. એટલે કે પીએનજી ગેસ કનેક્શન ધરાવતા ગ્રાહકોનેહવે એલપીજી ગેસ ઉપલબ્ધ રહેશે નહીં. જોકે હાલમાં જિલ્લામાં ગેસ પુરવઠાની સ્થિતિસંતોષકારક હોવાથી સામાન્ય ગ્રાહકોને કોઈ મુશ્કેલી નહીં પડે.
ગણપત યુનિવર્સિટી ખાતે તાજેતરમાં અટલ બિહારી વાજપેયી પબ્લિક પોલિસી ટોક સિરીઝના 11માં સંસ્કરણનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ યુ. વી. પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગના નેજા હેઠળ ડીજીટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ધી ફ્યુચર ઓફ ગવર્નન્સ ઇન ઇન્ડિયા વિષય પર યોજાયો હતો. મુખ્ય વક્તા નિવૃત આઈ.એ.એસ. અધિકારી અને વાધવાની ઇન્સ્ટિટ્યૂટના સીઈઓ પ્રકાશકુમારે ડિજિટલ ઇન્ડિયાના ભવિષ્ય અંગે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આધાર, યુ.પી.આઈ. અને ડીજી-લોકર ને ભારતના ડિજિટલ શાસનના મજબૂત સ્તંભો ગણાવ્યા હતા. સાથે જ તેમણે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (DPI) દ્વારા કરોડો નાગરિકો સુધી સરકારી સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓ પારદર્શક રીતે કેવી પહોંચી રહી છે તેનો પણ ચિતાર આપ્યો હતો. પ્રકાશ કુમારે જણાવ્યું હતું કે,આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડેટા સિસ્ટમ્સ જેવી નવી ટેક્નોલોજી આગામી સમયમાં શાસન વ્યવસ્થામાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે. વધુ મા તેમણે કહ્યું હતું કે, ડિજિટલ પ્લેટફોર્મ્સના કારણે દેશમાં નાણાકીય પારદર્શિતા અને અસરકારક અમલીકરણ શક્ય બન્યુ છે. કાર્યક્રમ મા ડૉ. ગણપતભાઈ આઈ. પટેલ પ્રેસિડેન્ટ, ગણપત યુનિવર્સિટી ,ડૉ. મહેન્દ્ર શર્મા ગ્રુપ પ્રો ચાન્સેલર,પ્રો. ડૉ. આર. કે. પટેલ ,ડિરેક્ટર જનરલ ,પ્રો. ડૉ. કિરણ અમીન , એક્ઝિક્યુટિવ ડીન અને ડેપ્યુટી પ્રો વાઇસ ચાન્સેલર ,પ્રો. ડૉ. સુબ્રત સાહુ, સીનિયર ડિરેક્ટર એક્રેડિટેશન અને અસેસમેન્ટ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
મહેસાણા જિલ્લામાં પીસી પીએનડીટી કાયદા હેઠળ ગર્ભમાં જાતિ પરીક્ષણ જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવા માટે આરોગ્ય વિભાગે વ્યાપક તપાસ અને દરોડા પાડ્યા છે. કુલ 8 ખાનગી ગાયનેક હોસ્પિટલોમાં સ્ટિંગ અને આકસ્મિક સર્ચ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મહેસાણા શહેરની બે અને કડી, ઊંઝા, વિસનગર, વિજાપુર તેમજ સતલાસણાની એક-એક હોસ્પિટલનો સમાવેશ થાય છે. કલેક્ટર અને ડીડીઓના માર્ગદર્શન હેઠળ, ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સુહાગ શ્રીમાળીએ આરોગ્ય વિભાગની ટીમોએ સગર્ભા મહિલાઓની મદદથી સ્ટિંગ-ડિકોય ઓપરેશન કર્યા હતા અને હોસ્પિટલોમાં સોનોગ્રાફી રજીસ્ટર, દર્દીઓના રિપોર્ટ, નોંધણી તથા જરૂરી ફોર્મ-વિગતો જાળવવામાં આવે છે કે નહીં તેની ઝીણવટભરી તપાસ કરી હતી. હાલ વિવિધ તાલુકાની ટીમો દ્વારા કરાયેલી કામગીરીનું ટેકનિકલ ક્રોસ-ચેકિંગ અને વિગતવાર અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલુ છે. જો તપાસમાં કોઈ હોસ્પિટલ દ્વારા નિયમોનો ભંગ કે ગંભીર ટેકનિકલ ખામી જણાશે, તો તેમના સોનોગ્રાફી મશીન સીલ કરવા અથવા રજીસ્ટ્રેશન રદ કરવા જેવી અત્યંત કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તબીબો માત્ર તબીબી કારણોસર જ સોનોગ્રાફી કરી શકે છે.
10 તાલુકા પંચાયતોમાં નાયબ કલેક્ટરના હવાલે:જિ.પંચાયતની મુદત પૂરી, વહીવટદાર તરીકે કલેક્ટર
મહેસાણા જિલ્લા પંચાયત તથા જિલ્લાના તમામ 10 તાલુકા પંચાયતોની પાંચ વર્ષની કાર્યકાળ અવધિ 16 માર્ચના રોજ પૂર્ણ થઈ છે. જિલ્લા પંચાયતની પ્રથમ બેઠક 17 માર્ચ 2021ના રોજ મળી હતી. મુદત પૂર્ણ થતાં રાજ્ય સરકારે જિલ્લા પંચાયત માટે જિલ્લા કલેક્ટરને વહીવટદાર તરીકે નિયુક્ત કર્યા છે. જ્યારે 10 તાલુકા પંચાયતોમાં 4 પ્રાંત અધિકારી સહિત 6 અધિકારીને વહીવટદાર તરીકે ચાર્જ સોંપાયો છે. વહીવટદારો અગાઉની ચૂંટાયેલી પાંખ દ્વારા મંજૂર કરાયેલા વિકાસ કામો તથા આવશ્યક સેવાઓ જેમ કે પાણી, ગટર, વીજળી અને સફાઈ સંબંધિત કામગીરી ચાલુ રાખશે. જોકે, નવા નીતિ વિષયક, નીતિ ગત નિર્ણયો લઈ શકશે નહીં. તા.પં.માં વહીવટદાર
ભાસ્કર એક્સક્લુસિવ:20 એપ્રિલથી જનગણના: 4000 કર્મીઓ 23.57 લાખ લોકોની માહિતી એકઠી કરશે
મહેસાણા જિલ્લામાં આગામી તા.20 એપ્રિલથી વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થશે અને 19 મે સુધી ચાલુ રહેશે. સામાન્ય રીતે દર 10 વર્ષે થતી જનગણના કોરોના મહામારીના કારણે 2021માં થઈ શકી નહોતી, તેથી હવે તે ડિજિટલ સ્વરૂપે કરવામાં આવી રહી છે. જિલ્લામાં અંદાજે 4,948થી વધુ કર્મચારીઓ 20 એપ્રિલથી આ કામગીરીમાં જોડાશે. નિયમ મુજબ 750 થી 800 વસ્તી દીઠ એક ગણતરીદાર અને 6 ગણતરીદાર દીઠ એક સુપરવાઇઝર ફાળવવામાં આવશે. હાલમાં જિલ્લા કક્ષાએ સોમવારથી ફિલ્ડ ટ્રેનરોની ત્રણ દિવસીય તાલીમ શરૂ થઈ છે. ત્યાર બાદ ગણતરીદારોની નિમણૂક શરૂ થશે. આ તમામ કર્મચારીઓ મોબાઇલ એપ દ્વારા ઘર-ઘર જઈ રિયલ ટાઈમ ડેટા એકત્ર કરશે, જે ડેટા સીધા સર્વર પર અપલોડ થશે. પ્રારંભિક અંદાજ મુજબ, જિલ્લામાં વસ્તી 23.57 લાખ સુધી પહોંચી શકે છે. આ જનગણનામાં સમગ્ર પ્રક્રિયા પ્રથમ વખત ડિજિટલ મોડમાં થશે. નાગરિકોને સ્વ-ગણતરી કરવાની પણ તક મળશે. ઉપરાંત, આ વખતે ૪૦૦૦ કર્મીઓ ૨૩.૫૭ વિસ્તૃત જાતિ ગણતરી પણ સામેલ રહેશે. પ્રથમ તબક્કામાં શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં મકાનોની ગણતરી થશે અને ૭૫૦ થી ૮૦૦ મકાનનો એક બ્લોક બનાવાશે. ત્યારબાદ બીજા તબક્કામાં ગણતરીદાર તે બ્લોકમાં ઘરે-ઘરેજઈ નાગરિકોને પ્રશ્નો પૂછી માહિતી મેળવશે. ડિજિટલ રીતે ગણતરી કરાશે. હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસની કામગીરી દરમિયાન નાગરિકોને કયા કયા પ્રશ્નો પૂછવા, સોફ્ટવેરની ઓપરેટિંગ સિસ્ટમ કેવી રીતે ચલાવવી, કેસ કેવી રીતે હેન્ડલ કરવા વગેરે બાબતનું લખાણ કે જેમાં ગણતરી માટેની તાલીમ આપવામાં આવી રહી છે. વિવિધ 33 પ્રશ્નો પૂછાશે ગણતરીદાર પરિવારના સભ્યોની સંખ્યા, ઉંમર, લિંગ, વૈવાહિક સ્થિતિ, શિક્ષણ, વ્યવસાય, જન્મસ્થાન, સ્થળાંતર, માતા-પિતાની વિગતો, દિવ્યાંગતા તેમજ સામાજિક વર્ગ જેવી માહિતી લેવામાં આવશે. ઘરના પ્રકાર, પાણી, શૌચાલય, વીજળી, રસોઈ ઈંધણ અને ઈન્ટરનેટ જેવી સુવિધાઓ અંગે પણ માહિતી લેવામાં આવશે. બે તબક્કામાં ગણતરીપ્રથમ તબક્કો : ઘર લિસ્ટિંગ (20એપ્રિલથી 19 મે 2026)આ 31 દિવસ દરમિયાન ઘરોનીસ્થિતિ, નિર્માણ સામગ્રી, સ્થાનઅને મૂળભૂત સુવિધાઓ જેવીમાહિતી એકત્ર કરવામાં આવશે. બીજો તબક્કો : જનગણના(ફેબ્રુઆરીથી માર્ચ 2027)આ તબક્કામાં વસ્તી, જાતિ, ધર્મ,શિક્ષણ અને રોજગાર જેવીમાહિતીની ગણતરી કરાશે. મહેસાણા જિલ્લામાં અંદાજિત વસ્તી
હવામાન વિભાગની આગાહી:18 થી 20 માર્ચ વરસાદી ઝાપટાં સાથે 40-50 કિમી ઝડપે વાવાઝોડું ફૂંકાશે
ઉત્તર ગુજરાતમાં ઉનાળાની શરૂઆતે જ હવે મેઘરાજાની એન્ટ્રી થવાની શક્યતા દેખાઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અરબ સાગર તરફથી આવતા ભેજવાળા પવનોને લીધે આગામી 18 થી 20 માર્ચ દરમિયાન વાતાવરણમાં મોટો પલટો આવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ દરમિયાન છુટાછવાયા વિસ્તારોમાં થંડરસ્ટોર્મ સાથે પ્રિ-મોનસૂન વરસાદ વરસી શકે છે. જોકે, વરસાદ છુટાછવાયા વિસ્તારો પૂરતો સમિતિ હશે, પરંતુ ગાજવીજ સાથે 40 થી 50 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકાઇ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાતમાં મોટાભાગે પશ્ચિમ એટલે કે અરબ સાગરથી આવતાં પવન ફૂંકાઇ રહ્યા છે. સોમવારે સરેરાશ 10 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા ભેજવાળા પવનના કારણે હવામાં ભેજનું પ્રમાણ 20 થી 50 ટકાની વચ્ચે રહ્યું હતું. જેને લઇ લઘુત્તમ તાપમાનમાં અડધા ડિગ્રીનો ઘટાડા સાથે ઠંડીનો પારો 21 થી 22 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. બીજી બાજુ, મહત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર ન થતાં ગરમીનો પારો 37 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. જો કે, ભેજવાળા પવનના કારણે અનુભવાતી ગરમીનો પારો 34 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, 18 થી 20 માર્ચ સુધી ઉત્તર ગુજરાતનું આકાશ વાદળછાયું બનશે. ખાસ કરીને 19 માર્ચના રોજ વરસાદ અને ઠંડરસ્ટોર્મ એક્ટિવિટીનું જોર સૌથી વધુ રહેવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન પ્રતિ કલાકે 40 થી 50 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે, જે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જશે અને સાથે જ વીજળીના કડાકા-ભડાકા પણ જોવા મળી શકે છે. આગામી દિવસોમાં વરસાદી માહોલને કારણે મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે, જેનાથી લોકોને હાલની કાળઝાળ ગરમીમાં રાહત મળશે. સામાન્ય સ્થિતિ કરતાં દિવસ-રાતનું તાપમાન સાડા 3 ડિગ્રી ઊંચું રહ્યું...સામાન્ય રીતે 16 માર્ચે રાત્રીનું તાપમાન 17.5 ડિગ્રી અને દિવસનું તાપમાન 34.5 ડિગ્રી હોવાનું જોઇએ. તેની સામે હાલ રાત્રીનું તાપમાન 21 અને દિવસનું તાપમાન 37 ડિગ્રી છે. એટલે કે, સામાન્ય સ્થિતિ કરતાં દિવસનું તાપમાન સાડા 3 ડિગ્રી અને રાત્રીનું તાપમાન અઢી ડિગ્રી વધુ છે.
સહાય અર્પણ:સિંહણના હુમલામાં બાળકના મોતની ઘટનામાં પરિવારને 10 લાખની સહાય
ધારી તાલુકાના માણાવાવ ગામના ધવલ ઈશ્વરભાઈ કટારા (ઉં.વ.5) રસોઈ બનાવતી માતા પાસે રમતો હતો ત્યારે સિંહણે અચાનક હુમલો કરી ઉઠાવી ગઈ હતી, અને આ ઘટનામાં તેનું મોત નિપજ્યું હતું. જેને લઈ વન વિભાગ દ્વારા નિયમ મુજબ મૃતકના પરિવારજનોને રૂ.10 લાખની સહાય મંજુર કરી ચેક અર્પણ કરાયોહતો. ચેક વિતરણ પ્રસંગે સરસિયા રેન્જના આરએફઓ, ફોરેસ્ટર એ.બી. રાઠોડ, વાઈલ્ડ લાઈફ વોર્ડન મહાવીર બાપુ તેમજ ગામના આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.
આયોજન:લાઠીના હીરાણામાં વિરાટ હિન્દુ સંમેલનમાં સમાજની એકતા, સંસ્કૃતિ જાળવવા અપીલ
લાઠીના હીરાણામાં આદેશ આશ્રમ ખાતે વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. હીરાણઆમાં આદેશ આશ્રમમાં આયોજિત વિરાટ હિન્દુ સંમેલનમાં બાલકનાથ બાપુ, કૌશલ કિશોરદાસ બાપુ, ગોપાલદાસબાપુ, ભગવાનદાસ બાપુ વિગેરે સંતો- મહંતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન હિન્દુ સમાજની એકતા, સંસ્કૃતિ અને પરંપરાઓના જતન અંગે આગેવાનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વક્તાઓએ હિન્દુ સમાજને સંગઠીત રહીને સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે કાર્ય કરવાની અપીલ કરી હતી. સંમેલનમાં ધાર્મિક અને સામાજિક વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. સમાજમાં એકતા જળવાઈ રહે તે માટેનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ચાવંડ, પીપળવા, દેરડી, વીરપુર, કોરકોલીયા અને આંબરડી પંથકમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા. વિરાટ હિન્દુ સંમેલનને સફળ બનાવવા માટે હિરાણા સનાતન હિન્દુ સમિતિએ જહેમત ઉઠાવી હતી.
આત્મહત્યા:ખાંભા તાલુકાના ધુંધવાણાના આધેડે ખેતરે ઘાસમાં છાંટવાની દવા પીતા મોત નિપજ્યું
ખાંભાના ધુંધવાણા ગામે માનસિક બિમારીથી પીડાતા એક વ્યક્તિએ ખેતરમાં ઝેરી દવા પી લેતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. ખાંભા તાલુકાના ધુંધવાણા ગામના મૂળ રહેવાસી અને હાલ સુરત ખાતે રહેતા વિરાભાઇ લક્ષ્મણભાઇ ચૌહાણ (ઉ.વ.50) છેલ્લા એકાદ વર્ષથી માનસિક બિમારીથી પીડાતા હતા અને તેમની સારવાર પણ ચાલી રહી હતી. નાની-નાની વાતોનું મનમાં લઈ લેવાના સ્વભાવને કારણે પરિવાર સાથે ક્યારેક સામાન્ય બોલાચાલી પણ થતી હતી. ત્યારે ગત તા.13 માર્ચ ના રોજ સવારે આશરે 9:30 વાગ્યે તેઓ ધુંધવાણા ગામે પોતાના ખેતર પર ગયા હતા. ત્યાં પડેલી ઘાસમાં નાખવાની દવા પી લેતા તેમની તબિયત બગડી હતી. બાદમાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું છે. આ બનાવ અંગે કમલેશભાઇ વિરાભાઇ ચૌહાણ (ઉ.વ.22)એ આજે પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
બેઠક:દામનગરમાં 27 માર્ચે રામનવમી નિમિત્તે રથયાત્રાને લઇ રામજી મંદિરે બેઠક મળી
દામનગરમાં રામજી મંદિર ખાતે રામનવમી ઉત્સવ સમિતિની બેઠક મળી હતી. જેમાં 27 માર્ચના રોજ રામ જન્મોત્સવ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે રામનવમી ઉત્સવ સમિતિએ આયોજન અંગે ચર્ચાઓ કરી હતી. રથયાત્રાના રૂટ, માર્ગો પર સુશોભન, ધજા-પતાકા, પ્રસાદ વિતરણ કરાશે. દામનગરમાં રામ જન્મોત્સવને ભવ્ય બનાવવા માટે શહેરના યુવાનો દ્વારા અલગ-અલગ જવાબદારીઓ સ્વીકારી સેવાકાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વિવિધ સમિતિઓ બનાવવામાં આવી હતી. શહેરના રામજી મંદિર પરિસરમાં બેઠકમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ઉત્સવની તૈયારીઓ, વ્યવસ્થા અંગે સૂચનો આપવામાં આવ્યા હતા. રામનવમીના દિવસે બપોરે 2:30 કલાકે રામજી મંદિરથી રથયાત્રા પ્રસ્થાન થશે. જે શહેરના મુખ્ય માર્ગો પર ફરીને ફરી મંદિર ખાતે પહોંચશે. તેમજ બપોર પછી શહેરના મોટાભાગના વેપાર-ધંધા સ્વૈચ્છિક રીતે બંધ રાખવામાં આવશે.
સુરેન્દ્રનગર મનપાએ વર્ષ 2025માં શહેરમાં રૂ.21 કરોડના ખર્ચે 5 નવા આઇકોનિક રોડ બનાવવાની જાહેરાત કરી હતી. જેમાં રૂ.3.60 કરોડના ખર્ચે મંજૂર થયેલો 60 ફૂટ રોડ ઉપર આવેલો 1 કિમીના રોડનું કામ ત્રણ મહિનાથી બંધ છે. અગાઉ આ રોડ 10 મીટર પહોળો બનવાનો હતો પરંતુ દબાણ હટાવ્યા બાદ મનપાએ આ રોડ 15 મીટરનો કરવાનું સૂઝતાં ખર્ચ બમણો એટલે કે, રૂ.6.10 કરોડને આંબી ગયો છે. આમ ત્રણ મહિનામાં બનાવાનો રોડ મનપાની ભૂલને લીધે શહેરીજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. સુરેન્દ્રનગર 60 ફૂટ રોડ ઉપર અનેક સોસાયટી, ફલેટની સાથે હોમસાયન્સ કોલેજ, આઇટીઆઇ, કે.પી.ગર્લસ સ્કૂલ સહિત હોસ્ટેલ આવેલી છે. વર્ષ 2025ના ફેબ્રુઆરીમાં અહીં રૂ.3.60 કરોડના ખર્ચે 10 મીટર પહોળા રોડનું કામ શરૂ કરાયું હતું. પહેલાં આ રોડ ડામરનો બનવાનો હતો. જે પ્રમાણે મંજૂરી મેળવી લેવામાં આવી હતી. પરંતુ દબાણ હટાવ્યા બાદ એકાએક મનપાને ડામર નહીં પણ 15 મીટર પહોળો આરસીસી રોડ બનાવવાનું મન થતાં નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી. હાલ માત્ર 30 ટકા કામ પૂર્ણ થયું છે. અત્યારે રસ્તાની બંને તરફ ખોદી થાંભલા નાખી દેવાતા મુશ્કેલી ઉભી થઇ રહી છે. રાજકોટની એજન્સીને કામ સોંપાયુહોળી-ધૂળેટીના તહેવારમાં શ્રમીકો વતનમાં ગયા હોય કામ બંધ હતું.પહેલા જે કામ મંજૂર કરાયું તે પુર્ણ કરાશે. ત્યારબાદ વધારાના કામ માટે નવુ ટેન્ડર કરાશે. રાજકોટની તુલસી કંપનીને કામ સોંપાયું છે. 3 મહિનામાં કામ પુર્ણ કરવાનું આયોજન છે.રોડ બની ગયા બાદ એજન્સીએ 3 વર્ષ સુધી રોડનું મેન્ટેનન્સ કરવાનું રહેશે. > નવનાથ ગવ્હાણે, મનપા કમિશનર હજુ આવા 4 આઇકોનીક રોડ બનવાના છે !મનપાએ ગત વર્ષે નવો 80 ફૂટ રોડ રૂ.9 કરોડ, રતનપર મેઇન રોડ રૂ.1.50 કરોડ, પરબ ચોકથી માળોદ ચોકડી રૂ.3 કરોડ, ધોળીપોળથી પીએનડી બેંકનો રોડ રૂ.4 કરોડના ખર્ચે બનાવવાની જાહેરાત કરી હતી. 60 ફૂટ રોડ ત્રણ મહિનામાં બનાવવાનો હતો. બાકીના 4 રોડની કામગીરી હજુ વર્કઓર્ડર આપ્યા બાદ શરૂ કરાશે. ત્રણ મહિનાથી રોડનું કામ બંધ, ધૂળને લીધે દુકાનમાં બેસવું મુશ્કેલ બન્યું દૂકાનદાર પરેશ ગોલાણી, ફ્લેટના રહીશ ચંદ્રકાંત કોઠારીએ જણાવ્યું હતું કે, બંને તરફ રોડ ખોદવાથી ધૂળ ઉડે છે. 3 મહિનાથી કામ બંધ હોવાથી દૂકાનમાં બેસી શકાતું નથી. બીજુ તરફ ફલેટની બહાર જ ખોદકામ કરી દેવાતાં અવર-જવરની કોઇ જગ્યા રહેતી નથી.
વાતાવરણ:હાલારમાં 18થી 21 માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી
રાજયના હવામાન વિભાગ દ્વારા આગામી તા.18 માર્ચથી તા. 21 માર્ચ દરમિયાન હાલાર સહિત રાજયના જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહિસાગર, અરવલ્લી, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્રારકા, કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનથ અને બોટાદ જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી થયેલ છે. આવા સમયે વાદળ છાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં અમુક તકેદારીનાં પગલા લેવા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને અપીલ કરાઇ છે. જેમાં સંભવિત કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો. ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહી તે મુજબ સુરક્ષિત રાખવા.યાર્ડમાં વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.જેમાં એપીએમસીમાં અનાજ અને ખેતપેદાશો ઢાંકીને અથવા શેડ નીચે સુરક્ષિત રાખવા, વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા અનુરોધ કરાયો છે.
કાર્યવાહી:બે ઘરફોડ ચોરીમાં ત્રિપૂટી રિમાન્ડ પર, રૂા. 8.83 લાખની મતા કબજે
શહેરના કાલાવડ નાકા બહારના ગુજરાતી વાડમાં ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ એજાજ ઉર્ફે ચાલબાજ શેખ કોઈ ગુનાને અંજામ આપવા માટે આટાફેરા કરતો હોવાની બાતમીના આધારે સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી લીધો હતો. તેના પાસેથી રોકડ રૂ. 17,000 તેમજ રૂ.4,32,500ની કિંમતના સોનાના દાગીના તેમજ કિંમતી મોબાઈલ ફોન મળીને કુલ રૂ.5,29,500નો મુદામાલ મળી આવ્યો હતો. તેની પુછપરછ કરતા બે ઘરફોડ ચોરીની કબુલાત કરી હતી. તેની પુછપરછ કરતા સોનાના દાગીના તેના મિત્ર મસીતીયાના શકીલ અનવરભાઈ ખફી અને સાહીલ રહીમભાઈ સેતાને વેંચવા માટે આપ્યાનું જણાવ્યું હતું. જેથી પોલીસે ચાંદીબજારના બુગદામાંથી બન્ને શખસોની અટક કરી હતી. તેના કબજામાંથી રૂ.3,02,900ની કિંમતના સોનાના દાગીના તેમજ રૂ.30 હજારની કિંમતના મોબાઈલ ફોન મળીને કુલ રૂ.8,83,400નો મુદામાલ કબજે કર્યો છે. આરોપી એજાજ સામે ચોરીના 22 ગુનાઓ નોંધાયા જામનગર શહેરની બે ઘરફોડ ચોરીમાં ઝડપાયેલો એજાજ ઉર્ફે એજલો કાદરભાઈ દાઉદભાઈ શેખ નામના શખસ સામે જામનગર ઉપરાંત રાજકોટ, કચ્છ પુર્વ ગાંધીધામ તેમજ અમદાવાદમાં જુદી જુદી કલમ હેઠળ ચોરી સહિતના 22 ગુનાઓ નોંધાયેલા છે. જેથી પોલીસે તેની વધુ પુછપરછ હાથ ધરી છે.
આકરી કામગીરી:જામનગર શહેરમાં મિલકતવેરો ન ભરનારા 3737 આસામીઓનો સૌપ્રથમ વખત પાણી પુરવઠો બંધ
જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરાની આકરી ઉઘરાણી શરૂ કરી છે અને આખરી નોટિસો આપ્યા બાદ મિલકતો સીલ કરવા ઉપરાંત જામનગર શહેરમાં સૌપ્રથમ વખત સામુહિક રીતે મિલકતો વેરો નહીં ભરનાર સાત સોસાયટીઓના 3737 પીવાના પાણીના નળ જોડાણો કટ કરવામાં આવ્યા છે. પ્રથમ વખત મ્યુ.તંત્રની પાણી પુરવઠો બંધ કરવામાં આવતા શહેરભરમાં ચકચાર મચી જવા પામ્યો છે. જામનગર શહેરમાં લાંબા સમયથી મિલકતવેરો નહીં ભરનાર સામે કડક ઉઘરાણી કરવા માટે 1796 આસામીઓને આખરી નોટિસો આપવામાં આવી હતી. પાણી પુરવઠો બંધ કરવા માટે પણ તાકીદ કરવામાં આવ્યા હતા. તેમ છતાં અમુક આસામીઓએ વેરો નહીં ભરતા તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, અને મિલ્કતો સીલ કરવામાં આવી રહી છે. ત્યારે પાણી પુરવઠો પણ બંધ કરવા માટે તાકીદ કરાયા હતા. તેની પણ સમયમર્યાદા પુર્ણ થવા છતાં વેરો ભરવામાં આવ્યો ન હતો. જેથી સોમવારે જામ્યુકો મિલકતવેરા શાખા તેમજ પાણી પુરવઠાની સંયુક્ત ટીમો દ્વારા વેરો નહી ભરનારા આસામીઓના સામુહિક પાણી પુરવઠો બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં વોર્ડનં-15ના રમેશ હાર્ડવેર વાળી શેરી, મારૂતિનગર, મથુરાનગર, લક્ષ્મીનગર, રવિપાર્ક ઝોન હેઠળનાં વોર્ડનં-6ના રવિપાર્ક ટાઉનશીપ, જય દ્વારકાધીશ પાર્ક, યોગેશ્વરધામ, વાયુનગર, શિવ ટાઉનશિપ, તિરૂપતિ પાર્ક-2, સ્વામીનારાયણ ધામ વિસ્તારના મિલકત અને પાણી વેરાની મોટી રકમ વસૂલાત માટે બાકી હોય, જેની રીકવરી નાં ભાગરૂપે આજે જામ્યુકો તંત્રએ સૌપ્રથમ વખત શહેરમાં પાણી વિતરણના વાલ્વને સીલ કરીને પાણી પુરવઠો બંધ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. જામનગર શહેરમાં સૌપ્રથમ વખત 3737 જેટલા આસામીઓને પીવાનું પાણી બંધ કરવામાં આવતા શહેરમાં મિલકતવેરો ન ભરનારાઓમાં ચકચાર વ્યાપી ગઈ છે. તો અમુક બાકીદારોએ મિલકતવેરો ભરવાની કાર્યવાહી કરવામાં આવી છે. મિલકતવેરા શાખાએ વધુ 3 મિલ્કતો સીલ કરીજામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખાએ આકરી રીતે મિલકતવેરો વસુલવા માટે કાર્યવાહી હાથ ધરી છે. એક બાજુ પાણી પુરવઠો બંધ કરવામાં આવે છે તો બીજી બાજુ રાજકોટ હાઈવે પર બાકી વેરો રૂ.2,73,080માં પુષ્પાબેન વિસરોલીયા તેમજ રૂ.2,96,580ના બાકીમાં કમલેશભાઈ અને રૂ.1,35,161 મિલકતવેરો ન ભરનાર મહેશભાઈ ભાણજીભાઈ ચનીયારાની મિલકતો સીલ કરવામાં આવી છે.
કાર્યવાહી:કોર્પોરેટર હુમલામાં પુર્વ વિપક્ષી નેતા રિમાન્ડ બાદ જેલ હવાલે
જામનગર શહેરમાં નગરસેવક ઉપર થયેલા હુમલા પ્રકરણમાં પુર્વ વિપક્ષી નેતા અને કોર્પોરેટરની ધરપકડ થયા બાદ રીમાન્ડ પુર્ણ થતાં જેલ હવાલે કરાયો છે. રાજકિય રાગદ્રેશના કારણે મારા સામે ફરિયાદ થયાનું પોલીસને જણાવ્યું હતું. રિમાન્ડ દરમિયાન પુર્વ વિપક્ષી નેતા અને કોર્પોરેટરના પરિવારજનો જ પોલીસ સ્ટેશને મોડી રાત્રિ સુધી રહ્યા હતા. જ્યારે અન્ય કોઈ સમાજના લોકો કે, આગેવાનો પહોંચ્યા ન હતા. જામનગર મહાનગર પાલિકાના બિલ્ડીંગમાંથી બહાર નિકળીને ઘરે જવા નિકળેલા કોર્પોરેટર અસલમ ખીલજી પીજીવીસીએલ કચેરીની આગળથી સ્કુટર લઈને પસાર થતા હતા. ત્યારે કારમાં આવેલા 6 થી 7 જેટલા શખસોએ હુમલો કર્યો હતો. અને હાથ-પગમાં ફેક્ચર કરીને નાશી છુટ્યા હતા. જેમાં કોર્પોરેટર અસલમ ખીલજીએ મ્યુ.વિપક્ષી નેતા અને કોર્પોરેટર અલ્તાફ ખફી સહિતના સામે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે સીટી બી ડિવિઝનના પીઆઈ પી.પી.ઝા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી અને લોકેશન મેળવતા તે ગુલાબનગર પાસેથી પસાર થવાનો હોવાની માહિતીના આધારે ચેકીંગની કામગીરી હાથ ધરી હતી. અલ્તાફ ખફી નિકળતો તેને ઝડપી લીધો હતો અને કોર્ટમાં રજુ કરીને એક દિવસના રીમાન્ડ પર લઈને પુછપરછ કરવામાં આવી હતી. જેમાં તેમણે રાજકિય કારર્કિદી પુર્ણ કરવા નામ અપાયું હોવાનું જણાવ્યું હતું. જે બાદ આજે રીમાન્ડ પુરા થતાં કોર્ટમાં રજુ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા છે.
આજથી વહીવટદાર શાસન:જામનગર જિલ્લા પંચાયતના સદસ્યોની ટર્મ પુરી
જામનગર જિલ્લા પંચાયત અને જિલ્લાની ભાજપા શાસિત છ તાલુકા પંચાયતોના ચુંટાયેલા સભ્યોની ટર્મ આજે પુર્ણ થઈ છે. ત્યારે જિલ્લા પંચાયત અને તમામ તાલુકાઓમાં વહિવટદાર શાસન આવતી કાલે મંગળવારથી લાગુ થશે. ચુંટણીનું ચક્ર ફરી રચાશે અને આગામી મે માસમાં નવા શાસકો આવશે. વહિવટદાર તરીકે કલેકટર કેતન ઠકકરને જવાબદારી સોંપવામાં આવી છે. જામનગર જિલ્લા પંચાયતની વાત કરીએ તો વર્ષ 2021ની ચુંટણીમાં જિલ્લા પંચાયતની 24 બેઠકોમાંથી 19 બેઠકો ભાજપાએ જીતતા સત્તાના સુત્રો ભાજપાએ સંભાળ્યા હતા. વિપક્ષના કોંગ્રેસના ભાગે ચાર અને બસપાના ફાળે એક બેઠક આવી હતી. પંચાયતની અઢી વર્ષની પ્રથમ ટર્મમાં પ્રમુખ તરીકે ધરમશીભાઈ ચનિયારા અને બીજી ટર્મના પ્રમુખ તરીકે મેયબેન ગરસર રહ્યા હતા. આગામી ચુંટણી માટે બેઠકોના અનામતના જાહેર થયેલા રોટેશનમાં હાલ સુધીના સંખ્યાબંધ સક્ષમ સભ્યો અગામી ચુંટણી માટે ટીકીટની દાવેદારી જ કરી શકે તેમ નથી. જામનગરની છ તાલુકા પંચાયતોમાં ભાજપાનું શાસન રહ્યું હતું. જેની પણ મુદ્દત આજે તા.17ના સાંજે પુરી થતી હોવાથી વહિવટદાર તરીકે જામનગર, ધ્રોલ-જોડીયા, કાલાવડ, જામજોધપુર, લાલપુર તાલુકા વિકાસ અધિકારીઓ કાલે તા.18થી વહિવટ સંભાળશે. જિલ્લામાં આગામી સમયમાં પક્ષીય રાજકારણમાં ચુંટણીનો ગરમાવો જોવા મળશે. જિલ્લા પં.ના સદસ્યોની ટીકીટ મેળવવા રાજકિય ભલામણોના દૌર જામનગર જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકો છે. જેમાં ગત ટર્મમાં ભાજપે 19 બેઠકો ઉપર જીત મેળવીને જિલ્લા પંચાયતના સત્તારૂઢ થયા હતા. જ્યારે આ વખતે 12 મહિલાઓ માટે અનામત બેઠક છે. જેથી અમુક સભ્યોની ટીકીટ કપાતી હોવાથી અન્ય સ્થળેથી લડવા તેમજ ઘરના મહિલા સભ્યોને ઉભા રાખવા માટેની તૈયારીઓ શરૂ કરી છે. તો બીજી બાજુ સદસ્યોની અનામતના હિસાબે અન્ય બેઠક પરથી ચૂંટણી લડવા તૈયારીઓ કરે છે. જિલ્લા પંચાયતની મૂદત પૂર્ણ થતાં જ રાજકીય સોગઠાઓ પણ હવે ધીમે-ધીમે ગોઠવાશે.
અત્યાધુનિક શેડનું 95 ટકા કામ પૂર્ણ:હાપા રેલવે યાર્ડમાં 35.41 કરોડના ખર્ચે સંયુકત વેગન શેડ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અંતર્ગત હાપા યાર્ડમાં રૂા. 35.41 કરોડના ખર્ચે માલગાડીના વેગનની જાળવણી માટે અત્યાધુનિક સંયુક્ત વેગન શેડનું નિર્માણ ગતિ શક્તિ યુનિટ-રાજકોટ દ્વારા વિક્રમી સમયમાં કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ મુખ્ય વહીવટી અધિકારી (રોડ સેફ્ટી, ચર્ચગેટ)અમિત મનુવાલના માર્ગદર્શન અને રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાના દિશાનિર્દેશ હેઠળ મુખ્ય પ્રોજેક્ટ મેનેજર (ગતિ શક્તિ-રાજકોટ) સુધીર દુબે અને તેમની ટીમ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો છે. વર્તમાનમાં માત્ર દોઢ વર્ષના વિક્રમી સમયમાં આ પ્રોજેક્ટનું લગભગ 95 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને બાકીનું કામ પણ ટૂંક સમયમાં પૂરું કરી લેવામાં આવશે. આ નવી સુવિધા શરૂ થવાથી બીટીપીએન, બીસીએન, બીટીપીએલએન સહિત વિવિધ પ્રકારના માલવાહક વેગનનું નિરીક્ષણ, મરામત અને જાળવણીનું કામ હવે વધુ ઝડપી, સુરક્ષિત અને વ્યવસ્થિત રીતે થઈ શકશે.નવા વેગન શેડનું કદ 172 મીટર 25 મીટર છે અને તેની મહત્તમ ઊંચાઈ 16.5 મીટર છે. તેમાં ટ્રસ વગરની સ્વ-સમર્થિત હળવા વજનની પ્રોફ્લેક્સ રૂફ શીટ લગાવવામાં આવી છે. વેગનના ઉપરના ભાગના નિરીક્ષણ માટે લાઇન નંબર 01 અને 03 ની સાથે ઇન્સ્પેક્શન ગેન્ટ્રી અને દર 17 મીટરના અંતરે ઇન્સ્પેક્શન પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે, જેનાથી કર્મચારીઓ વેગન પર સુરક્ષિત રીતે પહોંચી શકશે. પ્રોજેક્ટ હેઠળ 78 મીટર 9 મીટરનું આધુનિક વહીવટી ભવન પણ બનાવવામાં આવ્યું છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 10 રૂમ અને પ્રથમ માળે 12 રૂમ બનાવવામાં આવ્યા છે. રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ નવી સુવિધાથી હાપા યાર્ડમાં વેગનની મરામત અને જાળવણીનું કામ પહેલાની સરખામણીમાં ઘણું ઝડપી અને વધુ સારું બનશે. આનાથી વેગન જલ્દી ફિટ થઈને માલ પરિવહન માટે ઉપલબ્ધ થશે, યાર્ડમાં ભીડ ઘટશે અને ટ્રેનોનું સંચાલન વધુ સરળ રહેશે. પરિણામે ઉદ્યોગો અને વેપારીઓને માલસામાનના પરિવહનમાં વધુ સુવિધા મળશે અને રેલવેની માલ પરિવહન ક્ષમતા તેમજ આવકમાં પણ વધારો થશે. માલ લોડીંગ માટે વેગનની ઉપલબ્ધતા ઝડપથી વધશેનવી સુવિધા શરૂ થવાથી માલવાહક વેગનની મરામત ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. જ્યાં પહેલા દરરોજ અંદાજે 12 વેગનની મરામત શક્ય હતી, હવે તે ક્ષમતા વધી દરરોજ 56 વેગન થશે. આ સાથે જ રૂટિન ઓવરહોલિંગ આઉટટર્ન દર મહિને 70 વેગનથી વધીને 125 થી વધુ વેગન થવાની સંભાવના છે.આ વ્યવસ્થાથી બીમાર (સીક) વેગનને હવે લગભગ 3 દિવસમાં ફિટ કરી શકાશે, જ્યારે પહેલા આમાં સરેરાશ 10 દિવસ જેટલો સમય લાગતો હતો. આનાથી યાર્ડમાં ભીડ ઘટશે અને માલ લોડિંગ માટે વેગનની ઉપલબ્ધતા ઝડપથી વધશે. સાથે જ અનેક ટેકનિકલ પરીક્ષણો અને ઓવરહોલિંગના કાર્યો હવે સ્થાનિક સ્તરે જ શક્ય બનશે, જેથી સમય-ખર્ચ બચશે.
મેગા ડીસ કનેકશન ડ્રાઇવ:જામનગર-દેવભૂમિમાં 42622 બાકીદારોના 20.35 કરોડના બીલની વસુલાત માટે ઝુંબેશ
જામનગર વીજ વિભાગની વર્તુળ કચેરી દ્વારા જામનગર ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના માર્ચ-2026 દરમિયાન વીજબીલ પેટે બાકીદાર 58,915ની બાકી રૂા. 28.57 કરોડની વસુલાત માટે ખાસ ઝુંબેશ હાથ ધરાઇ છે.જેમાં ગત 25મી ફેબ્રુઆરી બાદ કાલે 17મી માર્ચના રોજ ફરી મેગા ડીસ કનેકશન ડ્રાઇવ હાથ ધરવામાં આવશે.જેમાં વર્તમાન સ્થિતિએ હાલારના 42,622 બાકીદારોની લેણી રકમ રૂા. 20.35 કરોડની વસુલાત અંગે કામગીરી અંતર્ગત બંને જિલ્લાની 36 પેટા વિભાગીય કચેરીઓની જુદી જુદી 360 ટીમો આજે સઘન ડ્રાઇવ હાથ ધરશે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ નાણાકીય વર્ષના માર્ચ માસ દરમિયાન બાકીદારો પાસેથી વીજ બીલની વસુલાત માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે જેમાં જામનગર અને દેવભૂમિ જિલ્લાના કુલ 58,915 બાકીદારો પાસેથી રૂા. 28.57 કરોડની વસુલાત માટે વીજ તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરાઇ છે. જેમાં માર્ચ દરમિયાન કુલ 15,374 બાકીદારો દ્વારા વીજબીલ પેટે રૂા. 6.60 કરોડ ભરપાઇ કરી અપાયા હતા.જયારે 919 ગ્રાહકો દ્વારા વીજબીલ પેટે બાકી લેણા રૂા. 1.62 કરોડ ભરપાઇ ન થતા તેઓના વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા.જે સાથે હજુ બાકી રહેતા 42,622 બાકીદારો પાસેથી રૂા. 20.35 કરોડ જેવી રકમની વસુલાત માટે મંગળવારથી ફરી મેગા ડીસ કનેકશન ડ્રાઇવ હાથ ધરાશે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 36 પેટા વિભાગીય કચેરીઓમાં ડીસ કનેકશન કામગીરી માટે ખાસ 360 ટીમો તૈયાર કરવામાં આવી છે. જે સાથે ચાલુ માસમાં રકમ ભરપાઇ ન કરાય તો નિયમોનુસાર વીજ જોડાણ રદ કરવામાં આવશે એમ સુત્રોએ જણાવ્યુ છે. ગત ફેબ્રુઆરી માસના અંતિમ સપ્તાહ બાદ માર્ચ માસના ત્રીજા સપ્તાહમાં વીજ વિભાગ દ્વારા કરોડોની બાકી વસુલાત માટે ફરી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. હાલ દરરોજ 240 ટીમ કાર્યરત હાલારમાં બાકી વીજ બીલ મુદદે જોડાણો કાપવા માટે હાલ દૈનિક ઘોરણે 240થી વધુ ટીમ બનાવી મીટર, સર્વીસ કે જરૂર પડયે ટીસી ઉતારી લેવા માટે બંને જિલ્લામાં વિશેષ ઝુંબેશ યથાવત રખાઇ છે. જોકે, હજુ પણ મોટી સંખ્યામાં બાકીદારો પાસેથી મસમોટી વસુલાત બાકી હોવાથી તંત્ર દ્વારા મેગા ડીસ કનેકશન ડ્રાઇવનો તખ્તો તૈયાર કરાયો છે.જેની આજે અમલવારી થશે.
ફરિયાદ:ચૂંટણીમાં ઉભા રહેવાની તૈયારી કરતા યુવાનના ઘરે ધમાલ, લૂંટ
જામનગર મહાનગરપાલિકાની ચુંટણીમાં ઉભા રહેવા માટેની યુવાન તૈયારી કરતા હોય, તે યુવાનના સાંઢુભાઈને પસંદ ન પડતા અને રીસામણે બેઠેલી યુવાનની પત્ની સહિતના પાંચ શખસોએ ઘરે જઈને દંગલ મચાવ્યું હતું અને ઘરમાંથી સોનાના દાગીના અને રોકડ રૂ.35 હજારની લૂંટ કરી હતી અને છુટું કરવું હોય તો રૂ.10 લાખ આપવાની વાત કરીને ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. શહેરના શંકરટેકરી નવી નિશાળ સામે રહેતા વસીમ હાજીભાઈ ખફી (ઉ.વ.35) નામના યુવાનની પત્ની શહેનાઝ સાઢુભાઈ અનવર સાથે બોલતી હોય, જે પતિને પસંદ ન હોવાથી બોલવાની ના પાડતા પત્નીએ ઝગડો કરીને બહેનના ઘરે રીસામણે ચાલી ગઈ છે. યુવાન કોર્પોરેશનની ચુંટણીમાં ઉભા રહેવાના હોય, તે આરોપીઓને પસંદ ન પડતા ગત તા.19 જાન્યુઆરીના રોજ આરોપીઓ શહેનાઝ વસીમ ખફી, રસીદાબેન ગુલઝાર ખફી, અંજુમ અનવરભાઈ ખફી, અનવર ઉર્ફે અન્નો કાસમભાઈ ખફી અને ઈકબાલ ઉર્ફે ઈકો કાસમ ખફી યુવાનના ઘરે પહોંચ્યા હતા. અને ઘરે દંગલ મચાવીને સોનાની એરીંગ, સોનાની વીટી મળીને બે તોલા જેટલુ સોનુ અને રોકડ રુ.35 હજાર તેમજ ઘરવખરીનો સામાન અને ડોક્યુમેન્ટસ લઈ ગયા હતા. યુવાનને ફસાવવા માટે આરોપી અનવર ઉર્ફે અન્નાએ કાવતરૂ રચ્યું હોવાનું યુવાને જણાવ્યું છે. તેમજ ગત તા.16ના રોજ યુવાન વિસ્તારમાંથી નિકળતા ઈકબાલ ઉર્ફે ઈકો ખફીએ રોક્યો હતો અને તારે તારી પત્ની સાથે છુટું કરવું હોય તો રૂ.10 લાખ આપવા ડતશે, નહિતર તને જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપી હતી. જે અંગેની યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ભાસ્કર વિશેષ:જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ડિજિટલ ફીડબેક 97 ટકા દર્દીઓએ સારવાર અને સુવિધાને વધાવી
ડિજિટલ ઈન્ડિયાના અભિગમને સાર્થક કરતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલ વહીવટી તંત્ર દ્વારા દર્દીઓની સુવિધા માટે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. હોસ્પિટલની તમામ OPD, વોર્ડ, ICU અને ઓપરેશન થિયેટર ખાતે QR કોડ લગાડવામાં આવ્યા છે, જેથી સારવાર અર્થે આવતા દર્દીઓ અને તેમના સગા પોતાના અનુભવો અને સૂચનો સીધા તંત્ર સુધી પહોંચાડી શકે.મે 2025 થી શરૂ કરાયેલી આ ઝુંબેશમાં અત્યાર સુધીમાં OPD વિભાગમાં કુલ 1,710 ફીડબેક મળ્યા છે, જેમાંથી 1,667 પ્રતિસાદ સકારાત્મક રહ્યા છે. દર્દીઓએ હોસ્પિટલની સારવાર પદ્ધતિ અભિપ્રાય આપ્યા હતા. તેવી જ રીતે, ઇન્ડોર પેશન્ટ (વોર્ડ) વિભાગમાં 1,333 પ્રતિસાદ મળ્યા છે, જેમાંથી 1,287 લોકોએ ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને વર્ગ-4 ના કર્મચારીઓના કાર્ય તેમજ હોસ્પિટલ દ્વારા અપાતા ભોજનની ગુણવત્તાને બિરદાવી છે.બાકી રહેલા નજીવા (આશરે 90 જેટલા) સૂચનો જેમાં સુધારાને અવકાશ છે, તે બાબતે હોસ્પિટલના વહીવટી તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અહીં સારવાર અર્થે આવતા દર્દીઓ પોતાના અભિપ્રાયો જણાવી શકે તે માટે ક્યુઆર લગાડવામાં આવ્યા છે. તેમ સુપ્રીટેન્ડેન્ટે જણાવ્યું હતું. દર્દીઓ પોતાના મંતવ્ય આપી શકે તે માટે સિવિલમાં ક્યુઆર લગાડ્યા છે.
સમસ્યા:બજેટમાં જીઆઇડીસીને રિનોવેટની વાત, વાસ્તવિકતામાં ખાડા જ ખાડા
સરકાર દ્વારા ગત તારીખ 18 ફેબ્રુઆરીના રોજ બજેટ જાહેર કર્યુ હતુ. જેમાં જૂનાગઢ જિલ્લાની પાંચેય વિધાનસભાના સર્વાંગી વિકાસ માટે અંદાજે 634 કરોડનું માતબર ફંડની ફાળવણી કરાઇ હતી. જેમાં જૂનાગઢ સહિત અનેક જિલ્લાઓની જીઆઇડીસીને રિનોવેટ કરવાની વાત કરવામાં આવી છે. પરંતુ બજેટમાં વાત થઇ ગઇ પછી તેને સ્થાનિક તંત્ર દ્વારા અનુસરવામાં આવી નથી. હાલ વાસ્તવિકતાની વાત કરીએ તો જૂનાગઢ જીઆઇડીસી-2માં નથી પુરતી સ્ટ્રીટલાઇટની સુવિધા કે નથી રોડની. જીઆઇડીસી-2નો રોડ કમરના મણકા હલી જાય તેવો છે. આ રોડ પર જો વાહન ચલાવવાનુ થાય તો ખાડા તારવી-તારવીને ચલાવવુ પડે તેવી સ્થિતી છે. આ બાબતે કારખાનેદારો, પ્રમુખો દ્વારા અવાર-નવાર તંત્રમાં રજૂઆત કરવામાં આવી છે પરંતુ તેનુ પરિણામ કોઇ આવતુ નથી. જો જીઆઇડીસીને રિનોવેટ કરી પુરતી સુવિધા ઉભી કરવામાં આવે તો જૂનાગઢમાં નવા ઉદ્યોગ વિકસી શકે છે. હાલની પરિસ્થિતી તો ઉદ્યોગ બંધ થાય તેવી છે. વહેલી તકે તંત્ર જીઆઇડીસી-2માં રોડ, લાઇટીંગ સહિતની તમામ પુરતી સુવિધા ઉભી કરી બજેટ પ્રમાણે જીઆઇડીસી-2 રિનોવેટ કરે તેવી માંગ ઉઠી છે.
વર્તમાન સમયમાં વૈશ્વિક સ્તરે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિતિને પગલે સ્થાનિક સ્તરે ઈંધણ અને ગેસના ભાવ વધવાની તેમજ અછત સર્જાવાની આશંકાએ લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. આ વોર પેનિકના કારણે જૂનાગઢની તમામ ગેસ એજન્સીઓ પર અત્યારે ગ્રાહકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. લોકો વહેલી તકે પોતાનો બાટલો નોંધાવવા અને સ્ટોક સુરક્ષિત કરવા માટે લાઈનો લગાવી રહ્યા છે. સપ્લાય ચેઈન પર અસર, એક મહિને ડિલિવરી અત્યારે સ્થિતિ એવી છે કે જૂનાગઢમાં તમામ ગેસ એજન્સીઓ પર ગ્રાહકોની ભીડને કારણે વહીવટી કામગીરીનું ભારણ વધ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યારે બુકિંગ કરાવ્યા બાદ ગ્રાહકને અંદાજે એક મહિનાની અંદર નવો બાટલો મળી રહ્યો છે. વહેલી તકે બાટલો મેળવવા માટે લોકો સવારથી જ એજન્સીઓના ચક્કર કાપી રહ્યા છે
ફરિયાદ:SDMએ માર માર્યાનો પ્રિન્સ ઠાકોરનો આક્ષેપ,4 કલાકમાં જ રજા મળી ગઇ
અંબાજી મંદિરના પવિત્ર પરિસરમાં યોજાયેલી દારૂ-ચિકન પાર્ટીનો મામલો હવે ગંભીર વળાંક લઈ રહ્યો છે. આ ઘટનામાં જેનું નામ ચર્ચામાં આવ્યું છે તેવા પ્રિન્સ ઠાકોરે સનસનીખેજ આક્ષેપ કર્યો છે કે, આ કાંડમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તેના નામ આપવા માટે તેના પર ભારે દબાણ કરવામાં આવ્યું હતું. પ્રિન્સના જણાવ્યા મુજબ, તેણે અન્ય શખ્સોના નામ આપવાની અસમર્થતા દર્શાવતા તેને બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. હુમલા બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલના સત્તાવાળાઓએ તમામ રિપોર્ટ્સ માત્ર ત્રણ કલાકમાં પૂર્ણ કરી તેને ડિસ્ચાર્જ કરી દેતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. મંદિરની પવિત્રતા જોખમાતા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. આ મામલાની તપાસના બીજા દિવસે એસડીએમ ચરણસિંહ ગોહિલે કડક વલણ અપનાવ્યું હતું. તેમણે આ ઘટનામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંડોવાયેલા બાકી રહેલા તમામ કર્મચારીઓ અને શખ્સોના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી. તપાસનો ધમધમાટ તેજ થતા મંદિરના સ્ટાફ અને સુરક્ષા એજન્સીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
માર્ચમાં 2 માવઠા:19થી 20 અને 28,29,30 વરસાદ થશે
છેલ્લા બે દિવસથી જૂનાગઢ સહિત સોરઠના વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારે ઝાકળ વર્ષા થતા મહત્તમ તાપમાન પર અસર થઈ છે અને દિવસ દરમિયાન પણ એકંદરે ઠંડક રહેતા લોકોએ રાહત અનુભવી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના અધિકારી ધીમંત વઘાસીયાએ ભાસ્કરને જણાવ્યું હતું કે, સોમવારે સવારે ઝાકળ વર્ષા થતાં લઘુતમ તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો હતો. બપોરનું મહતમ તાપમાન પણ ઘટીને 37 ડિગ્રી નોંધાયું હતુ. તેમણે વધુમાં જણાવ્યું કે, આગામી 10 દિવસ સામાન્ય તાપમાન રહેશે. સમુદ્રથી ભેજવાળા પવન આવતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. અરબી સમુદ્રમાં સાયકલોનીક સર્ક્યુલેશન હોવાથી આગામી તારીખ 19, 20 માર્ચ અને 28,29,30ના રોજ સોરઠ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના રહેશે. જ્યારે આ દિવસોમાં અમરેલી, ભાવનગર, રાજકોટ સહિત દક્ષિણ તથા મધ્ય ગુજરાત તેમજ ભારતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે. ફરી કુદરતી આફત તોળાઈ રહી હોવાથી ખેડૂતોના પાક બગડવાની ભીતિથી સેવાઇ રહી છે.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ગેરંટી પિરિયડવાળો શાંતેશ્વર રોડ ખોદી કોન્ટ્રાકટરને લાખોનો ફાયદો
જૂનાગઢ મનપાના વિપક્ષી નેતા લલિત પરસાણાના વોર્ડમાં આવતા જોષીપરાના શાંતેશ્વર વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. હજુ તો જે રોડનો ગેરંટી પિરિયડ બાકી છે, તેવા મુખ્ય માર્ગને કોઈ પણ આગોતરા આયોજન વગર એક સાઈડથી 2 ફૂટ જેટલો ખોદી નાખવામાં આવ્યો છે. નવાઈની વાત એ છે કે, રોડ ખોદ્યા બાદ મનપાના એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટર જાણે આ રસ્તો ભૂલી ગયા હોય તેમ છેલ્લા 15 દિવસથી અહીં કામગીરી સંપૂર્ણપણે ઠપ છે. આ મુખ્ય માર્ગ પરથી પસાર થતા હજારો રહીશો અને વાહનચાલકો ધૂળની ડમરીઓ અને ટ્રાફિક જામથી તોબા પોકારી ગયા છે. સૌથી માઠી અસર સ્થાનિક વેપારીઓને પડી રહી છે, જેમનો ધંધો રસ્તો બંધ હોવાને કારણે સાવ ભાંગી પડ્યો છે. તંત્રની આ ‘ખોદકામ કરી ભૂલી જવાની’ નીતિ સામે જનતામાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. 15 દિવસની હાલાકી બાદ હવે સ્થાનિકોની ધીરજ ખૂટી છે. અનેક રજૂઆતો છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. લોકોએ હવે મનપા તંત્રને સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આગામી 2 દિવસમાં યુદ્ધના ધોરણે રોડનું રિપેરિંગ કામ શરૂ કરવામાં નહીં આવે, તો આખાય વિસ્તારના લોકો અને વેપારીઓ મનપા કચેરી સામે અથવા તો વિસ્તારમાં જ પ્રતીક ઉપવાસ પર ઉતરશે. હવે જોવાનું એ રહે છે કે મનપા તંત્ર જાગે છે કે પછી જનતાને આંદોલન કરવાની ફરજ પાડે છે. શાંતેશ્વરનો અડધો રોડ ખોદી નાખતા લોકોને દુકાને કે ઘરે જવા માટે પણ 3 ફુટ કૂદીને જવુ પડે છે. કોન્ટ્રાક્ટરને લોટરી : 3 કરોડનો રોડ ખોદાઇ જતા જવાબદારીથી મુક્તિ!શાંતેશ્વરનો આ રોડ 3 કરોડના માતબર ખર્ચે તૈયાર થયો હતો અને હજુ તેની ગેરંટી અવધિ ચાલુ હતી. નિયમ મુજબ, ગેરંટી પિરિયડમાં રોડ તૂટે તો કોન્ટ્રાક્ટરે ખિસ્સામાંથી ખર્ચ કરવો પડે, પરંતુ મનપાએ જ રોડ ખોદાવી નાખતા હવે આર્થિક બોજ સરકારી તિજોરી પર આવશે. તંત્રની આ મહેરબાનીથી કોન્ટ્રાક્ટરને સીધો ફાયદો થયો છે, જ્યારે જનતાના ટેક્સના કરોડો રૂપિયા પાણીમાં ગયા છે.
બોર્ડની પરીક્ષા:ધો.10ના 10190 છાત્રોએ સંસ્કૃતનું પેપર આપ્યું, કોઈ કોપીકેસ ન નોંધાયો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધો.10 અને ધો.12 સા.પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે.જે અંતર્ગત બંને ધોરણના મહત્ત્વના પેપર પૂર્ણ થયા છે. મહત્ત્વના પેપર પૂર્ણ થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓના ચહેરા પર પરીક્ષા પૂરી થતાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજ રોજ ધો.10માં સંસ્કૃતનું પેપર લેવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી માધ્યમ સંસ્કૃત દ્વિતિય ભાષામાં કુલ 10477 છાત્રોમાંથી 10190 છાત્રો હાજર રહ્યા હતા અને 287 ગેરહાજર રહ્યા હતા જ્યારે અંગ્રેજી માધ્યમ સંસ્કૃત દ્વિતિય ભાષામાં કુલ 791 છાત્રોમાંથી 790 હાજર રહ્યા હતા અને 1 ગેરહાજર રહ્યા હતા. આ સાથે હિન્દી દ્વિતિય ભાષામાં કુલ 9795 છાત્રોમાંથી 9317 હાજર રહ્યા હતા અને 478 ગેરહાજર રહ્યા હતા. સમગ્ર જીલ્લામાં આજના પેપરમાં કોઈ ગેરરીતિ નોંધાઈ ન હતી.

28 C