ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે સાબરકાંઠાના હિંમતનગરની મુલાકાત લીધી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તેમણે હિંમતનગર નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપના ઉમેદવારોના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકરોનું અભિવાદન ઝીલ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોર બાદ તલોદ તાલુકાના રણાસણ રોડ થઈને હિંમતનગરમાં પ્રવેશ્યા હતા. તેમણે મહેતાપુરા ખાતે વોર્ડ નંબર 1માં કાર્યાલયને ખુલ્લું મૂક્યું હતું. તેમની ઉપસ્થિતિમાં વિસ્તારના 20થી વધુ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ વિવિધ સમાજના અગ્રણીઓએ તેમને ચોપડા ભેટ આપ્યા હતા. આ ઉપરાંત, મુખ્યમંત્રીએ હિંમતનગરના ઉમિયા વિજય ટીપી રોડ પર વડગામના પૂર્વ ધારાસભ્ય મણી વાઘેલા અને પાલિકાના ઉમેદવાર અમૃત પુરોહિત સહિત સ્થાનિકો સાથે મુલાકાત કરી હતી, જ્યાં તેમનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ મારુતિનગર વિસ્તારમાં નરનારાયણ સ્વામિનારાયણ મંદિરે સહકારી આગેવાનો અને વિવિધ સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી હડિયોલ રોડ પર આયોજિત વિકાસ સંકલ્પ સભામાં પહોંચ્યા હતા. અહીં તેમણે રાજ્ય સરકારે કરેલા વિકાસકામોની વાત રજૂ કરી હતી. તેમણે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ભાજપના ઉમેદવારોને જંગી મતોથી વિજયી બનાવવા માટે વધુ મતદાન કરીને કમળને મત આપવાની અપીલ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમની ટૂંકી મુલાકાત દરમિયાન કાર્યકરોને જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને જંગી મતે વિજયી બનાવવા માટે મતદારોનો સતત સંપર્ક કરવા પણ અપીલ કરી હતી. આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા, જિલ્લા પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલા, પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ, જિલ્લા પ્રમુખ કનુ પટેલ, મહામંત્રી બિપિન ઓઝા, પ્રેમલ દેસાઈ, સિદ્ધાર્થ પટેલ, ઘનશ્યામસિંહ ભાટી, શંભુ ભટ્ટ, અનિરુદ્ધ સોરઠીયા, વોર્ડ નંબર 1ના ઉમેદવાર ગોપાલસિંહ રાઠોડ, ગાયત્રીબેન વાળંદ, તેજલ રાવલ, સાવના ડોડીયાર સહિત અનેક અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
હાલમાં રાજ્યભરમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ માર્કેટ યાર્ડમાં સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે. એક તરફ સરકાર ખેડૂતોને પૂરતા ભાવ આપવાની વાતો કરે છે, તો બીજી તરફ ગ્રાઉન્ડ લેવલ પર 'લાલ દાણો' કે 'કારો દાણો' હોવાનું કારણ ધરીને ખેડૂતોનો પરસેવો રિજેક્ટ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે વહીવટી તંત્ર દ્વારા ગુણવત્તાના માપદંડોમાં ભારે પક્ષપાત કરવામાં આવી રહ્યો છે. ચાલુ વર્ષે ખેતી પર કુદરતની વક્રદૃષ્ટિ રહી છે. માવઠું અને અકાળે વરસાદ અને અતિશય ઝાકળને કારણે ઘઉંના પાકની ગુણવત્તા પર અસર પડી છે. ખેડૂતોનું કહેવું છે કે ઘઉંનો રંગ બદલાવો એ કુદરતી પ્રક્રિયા છે. આ કોઈ ફેક્ટરીમાં બનતી પ્રોડક્ટ નથી કે જેમાં ભેળસેળ કરી શકાય.જ્યારે કુદરતી આફતને કારણે આખું રાજ્ય પ્રભાવિત હોય, ત્યારે વહીવટી તંત્રએ ગુણવત્તાના જડ નિયમોમાં છૂટછાટ આપવી જોઈએ તેવી માંગ ઉઠી છે. પાડોદર ગામના રહેવાસી અશ્વિનભાઈ હાલાભાઈ ગરેજા પોતાની વ્યથા ઠાલવતા જણાવે છે કે હું અંદાજે 12 થી 13 ખાંડી જેટલા ઘઉં લઈને યાર્ડમાં આવ્યો હતો. મેં ઘઉંનું વ્યવસ્થિત સાફ-સફાઈ પણ કરાવ્યું હતું. તેમ છતાં અધિકારીઓએ 'લાલ દાણો' હોવાનું બહાનું કાઢી મારો માલ સ્વીકારવાની ના પાડી દીધી છે. મેં બે-બે વાર સેમ્પલ આપ્યા પણ પરિણામ એનું એ જ છે. આશ્ચર્યની વાત એ છે કે બીજા ખેડૂતોના ઘઉં તોલાઈ રહ્યા છે, જ્યારે મારો સારો માલ રિજેક્ટ થયો છે. ખેતરેથી અહીં સુધી માલ લાવવામાં મને 10 હજારનો ખર્ચ થયો છે, હવે મારે શું કરવું ? નુનાડા ગામના ખેડૂત જકુભાઈ નાથાભાઈ નંદાણીયાએ ખરીદી પ્રક્રિયામાં ચાલતી વિસંગતતા પર પ્રહાર કરતા કહ્યું કે, અત્યારે માર્કેટમાં ભારે અંધેર નગરી જેવી સ્થિતિ છે. જે માલ ખરેખર નબળો છે તેની ખરીદી થઈ રહી છે અને જે સારો માલ છે તેને રિજેક્ટ કરાય છે. માવઠું અને ઝાકળને કારણે ઘઉંમાં કાળો દાણો પડવો સ્વાભાવિક છે. સરકાર અને નિગમ આ બધું જાણે જ છે. ખેતરેથી માલ લાવવાનો ખર્ચ 8 થી 15 હજાર રૂપિયા થાય છે. આટલા ખર્ચ પછી જો માલ રિજેક્ટ થાય તો ખેડૂત ક્યાં જાય? અમારી માંગ છે કે કાં તો દરેકનો માલ લેવાય અથવા નિયમોમાં પારદર્શિતા લાવવામાં આવે. માણેકવાડા ગામના જગદીશભાઈ જેસબાઈ સોનારા તંત્ર સામે રોષે ભરાયા છે. તેમણે જણાવ્યું કે, મેં ઘઉં સાફ કરાવીને લાવ્યા હોવા છતાં રિજેક્ટ કરાયા છે. મારાથી નબળા ઘઉં અહીં તોલાઈ રહ્યા છે, આ સીધો અન્યાય છે. આ સરકારની નબળાઈ છે કે ખેડૂતોને રઝળાવવામાં આવે છે. ટ્રેક્ટરનું ભાડું અને મજૂરી પેટે મેં ₹15,000 ખર્ચ્યા છે. અહીં 100 જેટલા ખેડૂતો અત્યારે હાજર છે જેઓ આ જ અન્યાય સામે લડી રહ્યા છે. વહીવટી તંત્રએ નાનો-મોટો ભેદભાવ રાખ્યા વગર દરેક ખેડૂતનો માલ તોલવો જોઈએ. એક સામાન્ય ખેડૂત જ્યારે યાર્ડમાં આવે છે ત્યારે તેની પાછળ હજારો રૂપિયાનું ભાડું, મજૂરી અને સાફ-સફાઈનો ખર્ચ લાગેલો હોય છે. આર્થિક ભીંસમાં રહેલો ખેડૂત જ્યારે આશા સાથે ટેકાના ભાવે વેચવા આવે છે અને ત્યાંથી નિરાશા મળે, ત્યારે તેની માનસિક સ્થિતિ અત્યંત કફોડી બની જાય છે. ખેડૂતોની એક જ માંગ છે કે નિયમોના નામે હેરાન કરવાનું બંધ કરો અને કુદરતી પરિસ્થિતિને સમજીને ખરીદીમાં પારદર્શિતા લાવો.ત્યારે તંત્ર આ મામલે ક્યારે જાગશે અને ખેડૂતોને ન્યાય આપશે તે હવે જોવાનું રહ્યું.
દુનિયા જ્યારે યુદ્ધની આગમાં ધખધખી રહી છે, ત્યારે અમેરિકામાં સન્નાટો છે. નાસાથી લઇને લોસ એલામોસની ન્યૂક્લિયર લેબ સુધી સુનકાર છે. આ સુનકાર છે ન્યૂક્લિયર સાયન્ટિસ્ટના ગુમ થવાનો અને રહસ્યમય રીતે મોત થવાનો. છેલ્લાં બે વર્ષમાં 10 જેટલા ટોપ સાયન્ટિસ્ટ અચાનક ગાયબ થઈ ગયા છે. કોઈને કાનોકાન ખબર પણ ન પડી! કોઈ પાકીટ છોડી ગયું, કોઈનો મોબાઈલ ફેક્ટરી રીસેટ કરી દેવાયો, તો કોઈ ચશ્મા ભૂલી ગયું. યુદ્ધના આ માહોલ વચ્ચે આ સમાચારે આખા અમેરિકાને ફફડાવી નાખ્યું છે. જ્યારે આ બધુ ચાલી જ રહ્યું હતું એવામાં ઈઝરાયલ અને લેબનોનની દાયકાઓ જૂની દુશ્મની દોસ્તીમાં ખપાવાઈ અને 10 દિવસનો યુદ્ધ વિરામ કરાવ્યો. આટલું તો હજુ ઠીક હતું ને ટ્રમ્પ બોલી ઉઠ્યા કે હું પાકિસ્તાન જઈશ. યુદ્ધની શતરંજમાં શું ચાલી રહ્યું છે આજે આપણે તેની વાત કરીશું. નમસ્કાર... અમેરિકાની નેશનલ સિક્યોરિટી સાથે જોડાયેલી એકદમ સેન્સિટિવ લેબોરેટરીમાં કામ કરતા 10 વૈજ્ઞાનિકો ગાયબ થઈ ગયા છે અથવા કોઈનું શંકા ઉભી કરે તેવી રીતે મોત થયું છે. 15 એપ્રિલે અમેરિકન વાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટ પત્રકારોના સવાલોના જવાબ આપી રહ્યા હતા ત્યારે તેમને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો. ગાયબ વૈજ્ઞાનિકો સ્પેસ કે ન્યૂક્લિયર મિશન સાથે જોડાયેલા સ્વાભાવિક છે કોઈ પણ આવા ગંભીર સવાલો વિશે તાત્કાલિક જવાબ આપવાનું ટાળે અને લીવિટે પણ એમ જ કર્યું. તેમણે કહ્યું કે જો આવું હોય તો આ ખૂબ જ ગંભીર વિષય છે મારે તપાસ કરીને જવાબ આપવો પડશે. પણ સવાલ થાય કોણ ક્યાંથી અને કેવી રીતે ગાયબ થયું છે? તો તેના જવાબ સાંભળશો તો ચોંકી જશો. આ બધા ઈન્સિડેન્ટમાં એક લિંક કોમન મળે છે એક તો તે અમેરિકન સરકાર માટે કામ કરતા હતા અને બીજું કે આ વૈજ્ઞાનિકો કાં તો ન્યૂક્લિયર ફ્યૂઝન, એડવાન્સ પ્રપલ્શન અથવા ખૂબ જ સિક્રેટ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. વિલિયમ નીલ મેકકેસલેન્ડ ગુમ થયા ત્યારે તેમનો પોન અને ચશ્મા તેમના ઘરે જ મળ્યા હતા. પ્રોફેસર નુનો લૌરેરોની તેમના જ ઘરમાં હત્યા કરવામાં આવી હતી. આ મામલો અમેરિકાને મંદબુદ્ધિ કરવાનો આ બનાવો પર એક્સપર્ટ્સનું માનવું છે કે આ કામ કોઈ ગેંગનું નહીં પણ અમેરિકાની નેશનલ લેવલની ઈન્ટેલિજન્સ ઓર્ગેનાઈઝેશન્સને ટાર્ગેટ કરવા માટેનું કામ છે. પૂર્વ FBI અધિકારી ક્રિસ સ્વેકર અને સાંસદ ટિમ બર્ચેટનું તો ત્યાં સુધી કહેવું છે કે આ ચીન રશિયા કે ઈરાનનું કામ છે. જે હશે તો પૂરી તપાસ બાદ જ ખબર પડશે કારણ કે અમેરિકા જેવા શક્તિશાળી દેશના સિક્રેટ પ્રોજેક્ટ્સ પર કામ કરતા બુદ્ધિશાળી વૈજ્ઞાનિકો રાતો-રાત ગાયબ થઈ જાય કે તેમને પતાવી દેવામાં આવે તે બહુ મોટી અને અતિ ગંભીર વાત છે. ગૂમ કે મોત થયાની કોમન કડી એક વાત અહીં જોવા મળે છે કે મોટાભાગના સાયન્ટિસ્ટ સ્પેશિયલ એક્સેસ પ્રોગ્રામ્સમાં કામ કરતા હતા. આ એવા પ્રકારના પ્રોગ્રામ્સ હોય છે જેના બજેટ પણ જાહેર નથી કરવામાં આવતા. તો વિચારો આ કેટલા સિક્રેટ મિશન હશે જેમાં આ વૈજ્ઞાનિકો કામ કરતા હશે. આ બનાવોમાં મોનિકા રેઝા અને મેલિસા કાસિયાસના કિસ્સામાં બંનેના ફોન ચેક કરવામાં આવ્યા હતા ત્યારે તે ફેક્ટરી રિસેટ કરેલા મળી આવ્યા હતા. ટૂંકમાં કોઈ ડેટા જાહેરમાં ન આવે તેવો અમેરિકાના દુશ્મનનો કે અમેરિકાના અંદરના માણસનો પ્લાન હોઈ શકે. આના પર અમુક એક્સપર્ટ્સનું કહેવું છે કે આ વૈજ્ઞાનિકો એવા ખુલાસા કરવાના હતા જે હાલના નેતાઓને ગમે નહીં તેવા હતા. ખાસ કરીને ન્યૂક્લિયર ફ્યુઝન પરનું તેમનું કામ કોઈના માટે ખતરો બની રહ્યું હતું. ગાયબ થયા પહેલા મગજ થયું હેંગ વિલિયમ મેકકેસલેન્ડે આલ્બુકર્કમાંથી ગુમ થયા પહેલા મેન્ટલ ફોગની પણ ફરિયાદ કરી હતી. એક્સપર્ટ્સનું માનવું છે કે આ ત્યારે થાય છે જ્યારે કોઈ ડાયરેક્ટ એનર્જી વેપન કે માઈક્રોવેવ વેપન્સ આસપાસ કામ કરતું હોય. મેન્ટલ ફોગ થાય ત્યારે માણસ પોતાની વિચારવાની શક્તિ ખોઈ બેસે છે અથવા તેની વિચારવાની કેપેસિટીને કાબૂમાં કરી શકાય છે. તેઓ વર્ષ 2013માં નિવૃત થયા હતા અને સ્પેસ રિસર્ચની મોટી પોઝિશન પર કામ કરી ચૂક્યા હતા. વિલિયમ મેકકેસલેન્ડેનું નામ હિલેરી ક્લિન્ટનના કેમ્પેઈન ચેરમેન જોન પોડેસ્ટાના ઈમેઈલ્સના વિકિલીક્સ ડમ્પમાં દેખાયું હતું. જેમાં ટોમ ડોલોન્જ નામના વ્યક્તિએ દાવો કર્યો હતો કે તેમણે યુએફઓ એટલે કે એલિયન્સનું સ્પેશ શટલ જોયું હતું. 27 ફેબ્રુઆરીએ જનરલ મેકકેસલેન્ડ જ્યારે ગાયબ થયા, ત્યારે તેમની પત્નીએ 911 ઇમરજન્સી હેલ્પલાઈન પર કરેલો કોલ સૌથી મોટો પુરાવો છે. તેમણે ધ્રૂજતા અવાજે કહ્યું હતું કે, મારા પતિ અત્યારે પોતાને કોઈનાથી છુપાવવાની કોશિશ કરી રહ્યા છે. તેઓ પોતાની સાથે માત્ર પિસ્તોલ લઈ ગયા હતા. શું વૈજ્ઞાનિકને એલિયન્સ ઉઠાવી ગયા? રિટાર્યડ જનરલ જ્યારે ગાયબ થયા ત્યારે તેમનો ફોન, ચશ્મા અને પર્સનલ ડિવાઈઝ ઘરે જ છોડી ગયા હતા. અહીં પોલીસને એક વાત ચોંકાવનારી લાગી હતી કે જનરલનું વોલેટ, પહાડ ચઢવાવાળા હાઈકિંગ બૂટ અને રિવોલ્વર ગાયબ હતા. વિલિયમ નીલ મેકકેસલેન્ડના પત્નીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેમના પતિ એલિયન્સ સાથે વાત કરી શકતા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે આવી કોઈ જ વાત નથી. મોતની અનસોલ્વ્ડ ગુથ્થી લિસ્ટમાં એક નામ એવું પણ છે જેનું મોત હજુ પણ વણઉકેલ્યું છે, નામ છે માઈકલ ડેવિડ હિક્સ. તેઓ નાસાના DART મિશન એટલે કે લઘુગ્રહોનો રસ્તો બદલવાની ટેકનોલોજી પર કામ કરતા હતા. આ એવી ટેકનોલોજી છે જેનો ઉપયોગ દુશ્મન દેશની મિસાઈલોને હવામાં જ ગાયબ કરવા માટે પણ થઈ શકે છે. 59 વર્ષની ઉંમરે તેમની અચાનક અને અજાણ્યા કારણોસર થયેલી મોતે અનેક સવાલો ઉભા કર્યા છે. મહિલા સાયન્ટિસ્ટ મેલિસાની મર્ડર મિસ્ટ્રી! હવે વાત કરીએ ગયા વર્ષે 26 જૂનથી ગાયબ થયેલાં મલિસા કાસિયાસની. તેમને લોસ એલામોસ નેશનલ લેબોરેટરીમાં સિક્યોરિટી ક્લિયરન્સ મળ્યું હતું. મલિસા ગાયબ થયા તે કામ માટે નીકળી રહ્યા હતા અને ઘરે પાછા આવ્યા હતા કારણ કે તે પોતાનો બેજ ભૂલી ગયા હતા. જો કે ત્યાર બાદ તે કામ પર પણ નહોતા ગયા અને ઘરેથી પણ કામ નહોતું કર્યું. છેલ્લે તે પોતાના પાડોશીના કેમેરામાં બપોરે સવા બે વાગ્યે ન્યૂ મેક્સિકોની ગલીઓમાં એકલા ચાલતા જોવા મળ્યા હતાં. જ્યારે તેમના દીકરી ઘરે આવ્યા ત્યારે મલિસાનું પર્સ, ચાવી, પાકિટ અને કાર ઘરે જ હતું. મલિસાના પોતાના અને તેમના કામન સરકારી ફોનમાં ફેક્ટરી રીસેટ ડેટા કરી દેવાય હતા. બધી જ માહિતી ગાયબ કરી દેવાઈ હતી. પોલીસને માટીવાળા, લોહીવાળા બૂટ મલિસાના બેડરૂમમાં જોવા મળ્યા હતા. મલિસાને સેફ રીતે સરકારને સોંપનારને 5 હજાર ડોલર આપવાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. ચાવેઝની ગાયબ થવાની મિસ્ટ્રી 78 વર્ષના નિવૃત ન્યુક્લિયર એક્સપર્ટ એન્થોની ટોની ચાવેઝ પણ મે 2025થી ગાયબ છે. તેઓ લોસ એલામોસ લેબમાં સિક્રેટ પ્રોજેક્ટસ પર કામ કરતા હતા. ચાવેઝની ચાવી, ફોન અને વોલેટ પણ તેમના ટેબલ પર જ મળી આવી હતી પણ તેઓ ગાયબ હતા. ઘરે પણ કોઈ ફાઈટિંગ થઈ હોય એવા પૂરાવા નથી મળ્યા. છેલ્લીવાર તેઓ 4 મે 2025ના રોજ ન્યૂ મેક્સિકોની ડેનવર સ્ટીલ્સમાં જોવા મળ્યા હતા. તેઓ મલિસાથી થોડી ઉંચી પોસ્ટ પર કામ કરતા હતા. વૈજ્ઞાનિકની બોડી તળાવમાં, ફોન-વોલેટ ઘરે હવે વાત કરીએ જેસન થોમસની. તે નોવાર્ટિસમાં કેમિકલ બાયોલોજીના એસોસિએટ ડાયરેક્ટર તરીકે કામ કરતા હતા. ડિસેમ્બર 2025થી તે ગાયબ હતા અને માર્ચ 2026માં તેમની ડેડબોડી તળાવમાંથી મળી હતી. તેમના ફોન અને વોલેટ પણ ઘરે મળી આવ્યા હતા. પોલીસનું કહેવું છે કે થોમસે સ્યૂસાઈડ કર્યું છે પણ ફેડરલ તપાસ થાય તો ટાર્ગેટેડ કિલિંગ હોઈ શકે છે તેવું થોમસના પરિવારનું માનવું છે. વર્લ્ડ ફેમસ વૈજ્ઞાનિકનું મોત પણ પોસ્ટમોર્ટમ જ ન કરાયું? હવે વાત કરીએ ફ્રેન્ક માઈવાલ્ડની. અમેરિકન સ્પેસ કંપની નાસાના જેટ પ્રપોલ્શન લેબોરેટરીમાં ફ્રેન્કે 25 વર્ષ કામ કર્યું હતું. તે સ્પેસમાં લાઈફ શોધવાની ટેક્નોલોજી અને એડવાન્સ સેન્સર્સના વર્લ્ડ ફેમસ એક્સપર્ટ હતા. 4 જુલાઈ 2024ના તેમનું મોત થયું હતું પણ એવી વાતો છે કે તેમનું ક્યારેય પોસ્ટમોર્ટમ જ નથી કરવામાં આવ્યું. USના ન્યૂક્લિયર રિસર્ચને ઝટકો MITમાં પ્રોફેસર અને પ્લાઝમા સાયન્સ એન્ડ ફ્યુઝન સેન્ટરના ડાયરેક્ટર નુનો લૌરેરોને તેમના જ ઘરે 15 ડિસેમ્બર 2025માં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. તેઓ પ્લાઝ્મા ફિઝિક્સ અને ન્યુક્લિયર ફ્યુઝનમાં એક્સપર્ટ હતા. નુનોને સ્પાર્ક નામનો એક પ્રોજેક્ટ સોંપવામાં આવ્યા હતો. તેમના જવાથી અમેરિકાના ન્યુક્લિયર રિસર્ચ મિશનને મોટો ફટકો પડ્યો છે. અમેરિકાના મંગળ મિશનને ફટકો એક્સોપ્લેનેટ સંશોધન કાર્લ ગ્રિલમેરની વાત કરીએ તો 16 ફેબ્રુઆરી 2026ના તેમને ગોળી મારી દેવામાં આવી હતી. કાર્લ કેલિફોર્નિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના મોટા રિસર્ચર અને પહેલા એક્ઝોપ્લેનેટ એક્સપ્લોર હતા. તેમણે સોલર સિસ્ટમના બહારના એક ગ્રહના વાતાવરણમાં પાણીની વરાણ શોધી હતી. તારાઓ વિશે ડાર્ક મેટરમાં રિસર્ચ કરીને તેમને સ્ટ્રીમ કિંગનું પણ ખિતાબ મળ્યું હતું. વર્ષ 2011માં કાર્લને નાસાનો મેડલ પણ આપવામાં આવ્યો હતો. કાર-પાકિટ-મોબાઈલ મળ્યા, માણસ ગાયબ 28 ઓગસ્ટ 2025થી સ્ટીવન ગાર્સિયા પણ ગાયબ છે. છેલ્લે તે મેક્સિકોના અલ્બુકર્કમાં હેન્ડગન લઈને ચાલતા જોવા મળ્યા હતા. તેમનું પણ વાહન, પાકિટ અને મોબાઈલ ઘરેથી જ મળી આવ્યા હતા. ગાર્સિયા કાન્સાસ સિટી નેશનલ સિક્યુરિટી કેમ્પસમાં કોન્ટ્રાક્ટર પર કામ કરતા હતા, જે અમેરિકાના ન્યૂક્લિયર હથિયારોના 80% થી વધુ ન્યૂક્લિયર બ્રેઈન બનાવે છે. તેમની પાસે અમેરિકાની ન્યૂક્લિયર શક્તિ વિશે સિક્રેટ માહિતીઓ હતી. વૈજ્ઞાનિકના ફોન સલામત પણ ડેટા ડિલિટ એરોસ્પેસ એન્જિનિયર મોનિકા જેસિન્ટો રેઝાની વાત કરીએ તો 22 જૂન 2025થી તેઓ પણ ગાયબ છે. તેમણે નાસાની જેટ પ્રપલ્શન લેબમાં 20 વર્ષ કામ કર્યું. આ કેસમાં સૌથી મોટો પુરાવો છે કે તેમના ડિજિટલ પુરાવા મળ્યા છે. રેઝા કેલિફોર્નિયાના જંગલોમાં હાઈકિંગ કરવા ગયા હતા અને ત્યારથી ગાયબ છે. રેઝાના ફોન પર્સનલ અને સરકારી ફોન પણ ફેક્ટરી રિસેટ કરેલા તેમના ઘરેથી જ મળ્યા હતા. મોબાઈલમાં એક એક ડેટા હટાવી દેવામાં આવ્યો હતો. રેઝા સ્પેસ એક્સપ્લોર કરવા માટે એડવાન્સ મટિરિયલ બનાવવામાં માહેર હતા. ગાયબ થયેલા મોનિકા રેઝા જે ધાતુ પર કામ કરતા હતા, તે મૌન્ડાલૉય ભવિષ્યના રોકેટ એન્જિન માટે ખૂબ જ ક્રાંતિકારી મનાય છે. આ પ્રોજેક્ટની ફંડિંગની દેખરેખ જનરલ મેકકેસલેન્ડ કરતા હતા. આ બંનેનું એકસાથે ટાર્ગેટ થવું મોટા સવાલો ઉભા કરે છે. વૈજ્ઞાનિકો ગાયબ થવાથી અમેરિકાને નુકસાન કાર્લ ગ્રિલમેયર જેવી વ્યક્તિની હત્યાથી અમેરિકાની મિસાઈલ ટ્રેકિંગ અને ડાર્ક સેટેલાઈટ ડિટેક્શન ટેક્નોલોજીમાં મોટું ગાબડું પડ્યું છે. મોનિકા રેઝાના ગુમ થવાથી મંગળ મિશન માટેની ન્યૂક્લિયર થર્મલ પ્રોપલ્શન ટેક્નોલોજી અટકી પડી છે. નુનો લૌરેરોના જવાથી ન્યુક્લિયર ફ્યુઝનથી સસ્તી એનર્જી મેળવવાનું સપનું કદાચ પાછળ ધકેલાઈ શકે છે. સીઝફાયરની શરતો ને અમેરિકાનો ખેલ હવે આપણે વાત કરીએ અમેરિકા-ઈરાન યુદ્ધની. ગઈકાલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલ અને લેબનોન વચ્ચે 10 દિવસ સીઝફાયરની વાત કરી. એટલે કે આ બંને દુશ્મન દેશો એકબીજા પર હુમલા નહીં કરે. એક્સપર્ટ્સનું કહેવું છે કે અમેરિકાએ આવું એટલા માટે કરાવ્યું કારણ કે 21 એપ્રિલ 2026ના અમેરિકા અને ઈરાનની લગભગ પાકિસ્તાનમાં યુદ્ધ રોકવા મીટિંગ થઈ શકે છે. અગાઉ મીટિંગ થઈ તેના પહેલા ઈઝરાયલે લેબનોનમાં હુથીઓ પર હુમલા કર્યા ત્યારે ઈરાને કહ્યું હતું કે હિંસા અને અહિંસા એકસાથે નહીં ચાલે. લેબનોન પર ઈઝરાયલ હુમલા બંધ કરશે તો જ અમે અમેરિકા સાથે વાતચીત કરવા ટેબલ પર બેસીશું. બની શકે કે ઈરાનને રીઝવવા માટે એક પ્રકારનું આ અમેરિકાનું ટેક્ટિક પણ હોઈ શકે. હિઝબુલ્લાહની કરો યા મરોના હાલ લેબનોન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ રોકવા અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ મીટિંગ કરાવી હતી. જેમાં ત્રણ વાતો સામે આવી છે. એક કે 10 દિવસ સુધી કોઈ પણ મિલિટરી કાર્યવાહી નહીં થાય અને બીજું કે લેબનોનમાં માત્ર આર્મી જ હથિયારો રાખી શકશે. હિઝબુલ્લાહ આર્મી નથી માટે તેમને હથિયાર હેઠા મૂકવા પડશે. મૂકશે નહીં તે વાત અલગ છે. ત્રીજું કે ઈઝરાયલે સાઉથ લેબનોનમાં 10 કિલોમીટરનો બફર ઝોન રાખવો પડશે. આ મીટિંગ હિઝબુલ્લાહ માટે કરો કે મરો જેવી સ્થિતિ છે. આમ તો હિઝબુલ્લાહ સીધી રીતે કરારમાં નથી છતાં ઈરાનના દબાણમાં તેમને આને સ્વીકારવું પડ્યું છે. છેલ્લા 7 અઠવાડિયામાં 2 હજારથી વધુ મેમ્બર્સ ગુમાવ્યા પછી પણ હિઝબુલ્લાહે 10 દિવસ શાંતિ રાખવી પડશે. હોર્મુઝમાં ડબલ નાકાબંધી ને મોંઘા તેલનો મારજો કે લેબનોન-ઈઝરાયલના સીઝફાયરના સમાચારથી હોર્મુઝના જલડમરુંમાં કોઈ ખાસ અસર જોવા નથી મળી. ઈરાને ફેબ્રુઆરીમાં હોર્મુઝનો દરિયાઈ રસ્તો બ્લોક કર્યો સામેની બાજુ અમેરિકાએ 13 એપ્રિલે ઈરાની બંદરોની નાકેબંધી કરી. ડબલ બ્લોકેજના કારણે રોજ જ્યાંથી ઘણા જહાજો પાસ થતાં હતાં ત્યાં આજે એકલ-દુક્કલ જહાજો જ નીકળી રહ્યા છે. આ નાકેબંધીના કારણે આજના દિવસે બ્રેન્ડ ક્રુડ ઓઈલનો ભાવ એક બેરલે 98 ડોલરને પાર છે. ઈરાનની ધમકી છે કે જો અમેરિકા પોતાના જહાજો નહીં હટાવે તો ઈરાન કાયમ માટે હોર્મુઝ બંધ કરી દેશે. પાકિસ્તાને ભારતનું ટેન્શન વધાર્યુંજ્યારે મિડલ ઈસ્ટમાં જંગની બંદૂકો શાંત પડી રહી છે ત્યારે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં પોલિટિકલ ગેમ રમાવાની તૈયારીઓ થઈ રહી છે. 21 એપ્રિલની સિઝફાયરની ડેડલાઈન પહેલા અમેરિકા પાકિસ્તાનને વચેટિયા તરીકે ઉભું રાખી રહ્યું છે. આમ તો ડોનાલ્ડ ટ્રમ્પની ફોરેન પોલિસી એક હાથ સે દો દૂજે સે લો જેવી રહી છે પણ પાકિસ્તાનનું આટલા મોટા ગ્લોબલ પ્લેટફોર્મ પર નામ આવે તે ભારત માટે ઊંઘ ઉડાડી દે તેવી વાત છે. હું ઈસ્લામાબાદ આવીશઃ ડોનાલ્ડ ટ્રમ્પપૂરી વાત એમ છે કે ટ્રમ્પ સરકાર અને ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા વાતચીત ચાલી રહી છે. જેમાં ન્યૂટ્રલ રહીને પાકિસ્તાન બંને દેશોના સંદેશાઓ કે શરતો એકબીજાને પહોંચાડી રહ્યું છે. આ માટે ટ્રમ્પે પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શન અસીમ મુનીરના પૂરી દુનિયા સાંભળે તેમ વખાણ કર્યા છે. ટ્રમ્પે કહ્યું હતું કે, જો ઈરાન ન્યુક્લિયર કન્સેશન આપે, તો હું પોતે ઇસ્લામાબાદ જઈશ. ભારત માટે આ બિલકુલ સારી વાત નથી કે પાકિસ્તાન અને અમેરિકા વધુ નજીક આવે. કારણ કે જો આવું થાય તો અમેરિકા પાકિસ્તાનની આજીજી પર આપણા હિતોને દબાવવા કોશીશ કરી શકે તેમ છે. ખાસ કરીને કાશ્મીર જેવા મુદ્દા પર જે ભારત બિલકુલ સહન ન કરે. અને છેલ્લે… તમને જાણીને આંચકો લાગશે પણ ભારત માટે આ બૌદ્ધિક હત્યાની પેટર્ન નવી નથી. આપણા દેશમાં પણ વર્ષ 2009થી વર્ષ 2013 વચ્ચે 11થી વધુ ન્યૂક્લિયર સાઈન્ટિસ્ટ રહસ્યમય રીતે કાં તો ગુમ થયા હતા અને કાંતો મોત થયા હતા. ભાભા એટોમિક રિસર્સ સેન્ટર અને કૈગ જેવા સેન્સેટિવ સેન્ટર્સ પર કામ કરતા એક્સપર્ટમાં કોઈની ડેડબોડી કાં તો નદીમાં મળી હતી કાં તો જંગલમાં, પણ અફસોસ આજની તારીખે પણ તેમના મોત કેવી રીતે થયા હતા અને કોણે કર્યા હતા તે કોઈ જાણી શક્યું નથી. અમેરિકામાં જે થયું તે ભારતે દાયકા પહેલા ભોગવ્યું છે. આ ગ્લોબલ ગેમ પાછળ કોણ હશે જે દુનિયાની પ્રોગ્રેસ રોકવા ઈન્ટેલિજન્ટ માઈન્ડનું મર્ડર કરતું હશે? સોમવારથી શુક્રવાર, રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું, નમસ્કાર (રિસર્ચ- સમીર પરમાર)
રાજકોટ ABVP દ્વારા છેલ્લા 3 વર્ષથી GCASની ખામીઓને લઈને વારંવાર સરકારને રજુઆત કરવા છતાં પણ કોઈ યોગ્ય નિરાકરણ પગલા લેવાયેલુ નથી. જેને લઈ રાજકોટમાં વિદ્યાર્થી કાર્યકર્તાઓ દ્વારા આજે 17 એપ્રિલના કોટેચા સર્કલ ખાતે ઉગ્ર ધરણા પ્રદર્શન કરાયુ હતુ. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા. જે દરમિયાન ABVP ઝિંદાબાદ અને ભારત માતા કી જયના નારા લગાવવામાં આવ્યા હતા. જોકે, ત્યાં હાજર પોલીસે ABVPના યુવાનોની સાથે યુવતીઓની પણ ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. વિદ્યાર્થીઓ પર લાદવામાં આવેલી ₹300ની ફી તાત્કાલિક ઘટાડવામાં આવેABVPના રાજકોટ મહાનગરના મંત્રી પુષ્પરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, GCAS પોર્ટલને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેમાં બે મુખ્ય માંગણીઓ છે. જેમાં GCAS પોર્ટલમાં તમામ ખાનગી યુનિવર્સિટીઓનો તાત્કાલિક સમાવેશ કરવામાં આવે તથા વિદ્યાર્થીઓ પર લાદવામાં આવેલી ₹300ની ફી તાત્કાલિક ઘટાડવામાં આવે. જ્યારે બહેનોને ફીમાંથી મુક્તિ આપવામાં આવે. જ્યાં સુધી અમારી માંગણી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી અમારો અલગ અલગ જગ્યાએ વિરોધ ચાલુ રહેશે. વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય નહીં લેવાય તો આંદોલન હાથ ધરાશેઆ ધરણા પ્રદર્શન દરમિયાન છાત્ર નેતાઓ દ્વારા GCAS પોર્ટલની અપૂર્ણતા, ગેરવ્યવસ્થા અને વિદ્યાર્થીઓને પડી રહેલી મુશ્કેલીઓ અંગે રાજ્ય સરકારની નિષ્ક્રિયતા સામે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ તકે રાજકોટ મહાનગર મંત્રીએ ચેતવણી આપી હતી કે, જો વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં ગુજરાતના તમામ કેમ્પસ, યુનિવર્સિટીની બહાર વિદ્યાર્થીઓ રસ્તા પર આવી સરકાર સમક્ષ વધુ ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે. ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં.
ગાંધીનગર કલેક્ટર કચેરીમાં જમીન ફાળવણી શાખાના નાયબ મામલતદાર બિપીનચંદ્ર પરમાર અને તેમના વતી વહીવટ કરતા નિવૃત્ત પટાવાળા દિનેશ વાળંદને એસીબીએ રૂ. 4.50 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. ગાંધીનગર કોર્ટના પાર્કિંગ પાસે ફિલ્મી ઢબે ગોઠવાયેલા છટકા દરમિયાન લાંચની રકમ સ્વીકારતા જ બંનેની ધરપકડ કરવામાં આવી હતી. મકાનનું પ્રોપર્ટી કાર્ડ બનાવવા 9.50 લાખની લાંચ માંગી હતીએક જાગૃત નાગરિકે તેમના પરિચિતના મકાનનું પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટે કલેક્ટર કચેરીમાં અરજી કરી હતી. આ કામમાં કોઈ ક્ષતિ ન કાઢવા અને સાનુકૂળ અભિપ્રાય આપવા માટે નાયબ મામલતદાર વતી નિવૃત્ત પટાવાળાએ રૂ. 9.50 લાખની માંગણી કરી હતી. રકઝક બાદ પ્રથમ હપ્તા તરીકે રૂ. 4.50 લાખ આપવાનું નક્કી થયું હતું. ફરિયાદીએ આ અંગે એસીબીને જાણ કરતા પી.આઈ. કે.કે. દેસાઈ અને તેમની ટીમે છટકું ગોઠવ્યું હતું. ACBએ છટકું ગોઠવી લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યાકોર્ટ પાર્કિંગ પાસે ફરિયાદીની ગાડીમાં બેસી જ્યારે આરોપીઓએ હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી, ત્યારે જ એસીબીની ટીમે ત્રાટકીને બંનેને દબોચી લીધા હતા. એસીબીએ લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી છે અને હાલ બંને આરોપીઓના નિવાસસ્થાને સર્ચની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં આવક કરતા વધુ મિલકતો મળવાની શક્યતા છે. છેલ્લા પાંચ વર્ષમાં 12 કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયાગાંધીનગર કલેક્ટર કચેરીમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં આ કચેરી અને તાબાની ઓફિસોના અંદાજે 12થી વધુ કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા છે. અગાઉ પણ નાયબ મામલતદાર અને ક્લાર્ક કક્ષાના અધિકારીઓ એસીબીની જાળમાં સપડાઈ ચૂક્યા છે. આ સફળ ઓપરેશન એ.કે. પરમાર અને હરેશ મેવાડાના સુપરવિઝન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું, જેનાથી ભ્રષ્ટ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ભરૂચના ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ. હાઈસ્કૂલ ખાતે તાલુકા-જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી-2026 માટે પોલિંગ સ્ટાફને તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમનું આયોજન મામલતદાર ભરૂચના માર્ગદર્શન હેઠળ કરાયું હતું. આ તાલીમમાં પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલિંગ ઓફિસર તરીકે નિયુક્ત અંદાજે 553 કર્મચારીઓએ ભાગ લીધો હતો. તેમને ચૂંટણી પ્રક્રિયા, ઈવીએમ મશીનના ઉપયોગ, મતદાન દરમિયાનની ફરજો અને આદર્શ આચાર સંહિતાના પાલન અંગે વિગતવાર માર્ગદર્શન અપાયું હતું. માસ્ટર ટ્રેનરો દ્વારા કર્મચારીઓને પ્રેક્ટિકલ સમજૂતી સાથે તાલીમ આપવામાં આવી હતી. આગામી ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે આવી તાલીમોને અત્યંત મહત્વપૂર્ણ ગણવામાં આવે છે, જેથી ચૂંટણી કામગીરી પારદર્શક અને સુચારુ રીતે પાર પાડી શકાય. તમામ કર્મચારીઓએ આ તાલીમનો નિષ્ઠાપૂર્વક લાભ લીધો હતો.
અમદાવાદથી શેખ મોહમ્મદ ઇરફાન દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્ય, રાજ્ય ચૂંટણી આયોગ અને ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન AIMIMને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. AIMIM પાર્ટી ગુજરાતમાં અમાન્ય રાજકીય પક્ષગુજરાત હાઇકોર્ટમાં AIMIM ગુજરાતના તમામ ઉમેદવારોના ઉમેદવારી પત્રો રદ કરવા ઇરફાન શેખ દ્વારા અરજી કરવામાં આવી છે. જેમાં જણાવ્યા મુજબ AIMIM પાર્ટી ગુજરાતમાં અમાન્ય રાજકીય પક્ષ છે. ગુજરાતમાં 6% વોટ કે 3 MLA અથવા 1 MP આમ આ ત્રણ ચૂંટણી પંચના નિયમોમાંથી એક પણ નિયમનું પાલન AIMIM દ્વારા થયું નથી. અમાન્ય પક્ષો માટે 10 ટેકેદારો હોવા અનિવાર્યઆ અરજીમાં ગુજરાત સરકારના 22 માર્ચ, 2026 ના ગેઝેટ નોટિફિકેશનને પડકારવા માટે કરવામાં આવી છે. જેમાં અરજદારે દાવો કર્યો છે કે 22 માર્ચ, 2026 ના જાહેરનામામાં AIMIM ને માન્ય રાજકીય પક્ષ તરીકે ગણવામાં આવ્યો છે. માન્ય પક્ષ હોવાને કારણે તેના મહાનગર પાલિકાની વર્તમાન ચૂંટણીઓમાં ઉમેદવારોને માત્ર એક જ ટેકેદાર દ્વારા ફોર્મ ભરવાની છૂટ મળી રહી છે, જ્યારે કાયદા મુજબ અમાન્ય પક્ષો માટે 10 ટેકેદારો હોવા અનિવાર્ય છે. જાહેરનામું રદ કરવાની માંગઅરજદાર મુજબ AIMIM ગુજરાત રાજ્યમાં માન્ય રાજકીય પક્ષ બનવાના માપદંડો પૂર્ણ કરતું નથી. આથી આ જાહેરનામું ગેરબંધારણીય અને ભેદભાવયુક્ત હોવાનું જણાવી તેને રદ કરવાની માંગ કરવામાં આવી છે. અરજદારે હાઈકોર્ટને વિનંતી કરી છે કે રાજ્ય સરકારના 22 માર્ચ, 2026 જાહેરનામાને રદ કરવામાં આવે અને AIMIMને આ ચૂંટણી માટે માન્ય રાજકીય પક્ષ તરીકે ગણવામાં ન આવે.
બોટાદમાં સબીહા હોસ્પિટલ પાસે ભંગારના ડેલામાં આગ:અગમ્ય કારણોસર લાગી, કોઈ જાનહાનિ નહીં
બોટાદ શહેરના સાળંગપુર રોડ પર આવેલી સબીહા હોસ્પિટલ નજીક એક ભંગારના ડેલામાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક બોલાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. સદનસીબે, આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે અને આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.
બનાસકાંઠાના પાલનપુરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા એડમિશન ફી રદ કરવા સહિતની વિવિધ માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ABVP કાર્યકરોએ કલેક્ટર કચેરી પહોંચી કલેક્ટરને રજૂઆત કરી હતી. ABVP ની મુખ્ય માંગણીઓમાં સરકારના G-CAS પોર્ટલ પર લેવામાં આવતી ₹300 ની એડમિશન ફી રદ કરવી અને એડમિશન પોર્ટલમાં ખાનગી યુનિવર્સિટીઓનો પણ સમાવેશ કરવો તે હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન, ABVP ના કાર્યકરોએ રસ્તા પર સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે વિરોધ કરી રહેલા કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી. અટકાયત બાદ પણ કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા.
હીરા અને જ્વેલરી ઉદ્યોગના વૈશ્વિક કેન્દ્ર એવા સુરતમાં જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા ગત 13-14 એપ્રિલ, 2026 દરમિયાન વિશેષ 'સ્ટડેડ ડાયમંડ જ્વેલરી બાયર-સેલર મીટ'નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત 12 એપ્રિલે પ્રિવ્યૂ અને ઉદ્ઘાટન સત્ર સાથે થઈ હતી. આ આયોજનની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેમાં રશિયા, અમેરિકા, બ્રાઝિલ, બલ્ગેરિયા, કોલંબિયા અને પોલેન્ડ જેવા શક્તિશાળી દેશોમાંથી કુલ 17 આંતરરાષ્ટ્રીય ખરીદદારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ મંચ પરથી સુરતના વેપારીઓને વૈશ્વિક બજાર સાથે સીધા જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નેચરલ અને લેબગ્રોન ડાયમંડ પર વિશેષ ધ્યાનGJEPC સુરતના પ્રાદેશિક અધ્યક્ષ જયંતી સાવલીયાએ જણાવ્યું હતું કે, આ આયોજન પોતાની રીતે એક અનોખી પહેલ હતી. તે ખાસ કરીને સ્ટડેડ ડાયમંડ જ્વેલરી પર કેન્દ્રિત હતું, જેમાં નેચરલ (પ્રાકૃતિક) ડાયમંડની સાથે સાથે ઉભરતા લેબ-ગ્રોન ડાયમંડ સેગમેન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. સુરતના 16 અગ્રણી પ્રદર્શકોએ પોતાની અદભૂત ડિઝાઇન્સ અને કારીગરી આ વિદેશી ડેલિગેશન સમક્ષ રજૂ કરી હતી. લેબ-ગ્રોન હીરાના વધતા વ્યાપ વચ્ચે સુરત કઈ રીતે વિશ્વને નેતૃત્વ પૂરું પાડી શકે છે, તેનું જીવંત ઉદાહરણ આ મિટિંગમાં જોવા મળ્યું હતું. પહેલીવાર 'પ્રોડક્ટ પ્રિવ્યૂ ડે' યોજાયોઆ આયોજનની એક ખાસ વિશેષતા ‘પ્રોડક્ટ પ્રિવ્યૂ ડે’ રહી હતી, જેનું આયોજન હોટેલ હિલ્ટન ઇન ખાતેના સોલિટેર બેન્ક્વેટ હોલમાં કરવામાં આવ્યું હતું. પ્રિવ્યૂ ડે દરમિયાન પ્રત્યેક પ્રદર્શકને સમર્પિત શોકેસ બૂથ ફાળવવામાં આવ્યા હતાં. આ વ્યવસ્થાને કારણે ખરીદદારો અને વેપારીઓ વચ્ચે આયોજનબદ્ધ સંવાદ થઈ શક્યો. આ કોન્સેપ્ટ પ્રથમ વખત અમલમાં મુકવામાં આવ્યો હતો, જેનાથી વિદેશી ડેલિગેટ્સને સુરતની મેન્યુફેક્ચરિંગ ક્ષમતા અને પ્રોડક્ટ રેન્જની ઝલક એક જ છત નીચે મળી રહી હતી. DIC સુરતના જનરલ મેનેજર જે.બી. દવેએ આ પ્રસંગે ઉપસ્થિત રહી એક્ઝિબિટર કેટલોગનું અનાવરણ કર્યું હતું. હીરા જડવાની પ્રક્રિયા,અત્યાધુનિક ટેકનોલોજીને વિદેશીઓને નજીકથી નિહાળીમાત્ર હોલ પૂરતી મર્યાદિત ન રહેતા, આ ઈવેન્ટનું મુખ્ય આકર્ષણ ફેક્ટરી વિઝિટ રહી હતી. 13 અને 14 એપ્રિલના રોજ આયોજિત આ વિઝિટમાં આંતરરાષ્ટ્રીય ખરીદદારોને સુરતની આધુનિક મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાં લઈ જવામાં આવ્યા હતાં. દરેક વાહનમાં બે આંતરરાષ્ટ્રીય કંપનીઓના પ્રતિનિધિઓને રાખવામાં આવ્યા હતા, જેમણે દિવસ દરમિયાન 8 જેટલી ફેક્ટરીઓની મુલાકાત લીધી હતી. આ પદ્ધતિથી બે દિવસમાં કુલ 16 ફેક્ટરીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું. અહીં વિદેશી મહેમાનોએ હીરા જડવાની પ્રક્રિયા, ગુણવત્તા નિયંત્રણ અને સુરતમાં વપરાતી અત્યાધુનિક ટેકનોલોજીને નજીકથી નિહાળી હતી. 'રશિયા-બ્રાઝિલના પ્રતિનિધિઓએ વેપારીઓ માટે નવા દ્વાર ખોલ્યા'GJEPCના ઇન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વીનર વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા દાયકામાં ભારતના કુલ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટમાં જ્વેલરીનો હિસ્સો સતત વધી રહ્યો છે. આવી બાયર-સેલર મીટ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપારી સંબંધો વધુ મજબૂત બને છે. ખાસ કરીને રશિયાના 6 અને બ્રાઝિલના 3 પ્રતિનિધિઓની સક્રિયતાએ સુરતના વેપારીઓ માટે નવા દ્વાર ખોલી દીધા છે. આ પ્રકારના સીધા સંવાદથી વચેટિયાઓ દૂર થાય છે અને મેન્યુફેક્ચરર્સને તેમની મહેનતનું પૂરતું વળતર અને મોટા ઓર્ડર મળવાની શક્યતા વધી જાય છે. સફળ લોજિસ્ટિક્સ અને સુઆયોજિત વ્યવસ્થાઈવેન્ટના સફળ સંચાલન માટે GJEPC દ્વારા જબરદસ્ત લોજિસ્ટિક્સ પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. ફેક્ટરીઓના રૂટ ભૌગોલિક અંતરના આધારે નક્કી કરવામાં આવ્યા હતા જેથી સમયનો બચાવ થાય. દરેક ગ્રુપ સાથે એક ડેડિકેટેડ કોઓર્ડિનેટર ફાળવવામાં આવ્યો હતો, જેઓ હેડ ઓફિસ અને ઈવેન્ટ મેનેજમેન્ટ એજન્સી સાથે સતત સંપર્કમાં હતા. આ વ્યવસ્થાને કારણે 17 માંથી મોટાભાગની કંપનીઓએ તમામ 16 ફેક્ટરીઓની સફળતાપૂર્વક મુલાકાત પૂર્ણ કરી હતી. સુરતની મહેમાનગતિ અને વ્યાવસાયિક અભિગમથી વિદેશી ખરીદદારો અત્યંત પ્રભાવિત થયા હતા.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે વલસાડ કસ્ટમ્સ વિભાગે કોલક જેટી પાસે દરિયાઈ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી છે. 'જય જલારામ' નામની શંકાસ્પદ બોટમાંથી 69.68 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં કુલ 76.88 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી 8 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. કસ્ટમ્સ વિભાગની ટીમ 16 એપ્રિલે પેટ્રોલિંગમાં હતી ત્યારે દમણ તરફથી આવતી એક શંકાસ્પદ બોટ જોવા મળી હતી. અધિકારીઓએ બોટને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે બોટ ભગાડી હતી. ટીમે ફિલ્મી ઢબે પીછો કરીને સમુદ્રમાં જ બોટને આંતરી લીધી હતી. જોકે, ઓટ હોવાને કારણે બોટને તરત કાંઠે લાવી શકાઈ ન હતી, પરંતુ મધરાતે ભરતી આવતા તેને કોલક જેટી પર લાંગરવામાં આવી હતી. બોટ (IND GJ-15-MM-0613) ની તપાસ કરતા તેના કોલ્ડ રૂમમાં બનાવેલા ચોરખાનામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં કુલ 555 બોક્સમાં ભરેલી 18,672 બોટલ/ટીન (5,358.48 લિટર) દારૂનો સમાવેશ થાય છે, જેની કિંમત 69,68,880 રૂપિયા છે. આ ઉપરાંત, 7,00,000 રૂપિયાની બોટ અને 5 મોબાઈલ ફોન સહિત કુલ 76.88 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસે સ્થળ પરથી 8 શખ્સોની ધરપકડ કરી છે : દારૂનો આ આ જથ્થો ભરી આપનાર કિરીટ રમેશ હળપતિ (દમણ) વોન્ટેડ છે.પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, વોન્ટેડ આરોપી કિરીટે આ દારૂનો જથ્થો દમણની હર્ષ કેમિકલ કંપની પાસે નદીમાં ઊભેલી બોટમાં ભરાવ્યો હતો. આ દારૂ દરિયાઈ માર્ગે નવસારી પહોંચાડવાનો હતો. આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ અગાઉ પણ બે વાર સુરતના ઓલપાડ ખાતે દારૂ ખાલી કરી ચૂક્યા છે. હાલ પારડી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જંગ યોજાવાની છે. કલોલ અને દહેગામ નગરપાલિકાઓ સહિત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓનો શંખનાદ ફૂંકાઈ ચૂક્યો છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્રએ ચૂંટણી પ્રચારના નામે થતા જાહેર મિલકતોના બગાડ અને કાયદાના ઉલ્લંઘન સામે લાલ આંખ કરી છે. ગાંધીનગરના જિલ્લા મેજીસ્ટ્રેટ રવિન્દ્ર ખતાલેએ જાહેરનામું બહાર પાડીને ચૂંટણી પ્રચારના નિયમોમાં ધરખમ સુધારા સાથે કડક પાલનના આદેશો આપ્યા છે. રાજકીય પક્ષો અને ઉમેદવારોનું મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોરગાંધીનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. આ લોકશાહીના પર્વમાં રાજકીય પક્ષો અને ઉમેદવારો મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ-163 હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સરકારી વાહનો પર લખાણ લખવા કે પોસ્ટર ચોંટાડવા પર સંપૂર્ણ પ્રતિબંધસામાન્ય રીતે ચૂંટણીઓ આવતા જ શહેરની દીવાલો પોસ્ટરોથી ભરાઈ જતી હોય છે અને સરકારી કચેરીઓ કે વીજળીના થાંભલાઓ પર પક્ષીય પ્રતીકોના તોરણો ઝૂલવા લાગે છે. પરંતુ આ વખતે સરકારી મકાનો, રોડ-રસ્તા, ટેલિફોન અને ઈલેક્ટ્રિક થાંભલા, એસ.ટી. બસ સ્ટોપ કે સરકારી વાહનો પર લખાણ લખવા કે પોસ્ટર ચોંટાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. મિલકત માલિકની લેખિત પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત આ ઉપરાંત ખાનગી મિલકતોના ઉપયોગ બાબતે પણ નિયમો વધુ ચુસ્ત બનાવવામાં આવ્યા છે. જો કોઈ ઉમેદવાર કે સમર્થક કોઈની ખાનગી માલિકીની દીવાલ કે જમીન પર પ્રચાર સામગ્રી લગાવવા માંગતા હોય તો મિલકત માલિકની લેખિત પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત કરવામાં આવી છે. ઘણીવાર એવું જોવા મળે છે કે મકાન માલિકની અનિચ્છા હોવા છતાં રાજકીય પ્રભાવ હેઠળ બેનરો લગાવી દેવામાં આવે છે, જેના પર હવે કાનૂની રોક લાગશે. 8 ફૂટથી ઊંચા કટઆઉટ પ્રચાર માટે વાપરી શકાશે નહીંઆ સિવાય હોર્ડિંગ્સ અને કટઆઉટના કદમાં પણ મર્યાદા નિશ્ચિત કરવામાં આવી છે. 15 ફૂટ બાય 8 ફૂટથી મોટા હોર્ડિંગ્સ અને 8 ફૂટથી ઊંચા કટઆઉટ પ્રચાર માટે વાપરી શકાશે નહીં. પ્રચાર માટે જે કંઈ પણ સામગ્રી તૈયાર કરવામાં આવશે તેનો સંપૂર્ણ ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબમાં દર્શાવવો પડશે. એટલું જ નહીં જેવી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે તેવી જ તમામ પ્રચાર સામગ્રી હટાવીને મિલકતોને તેની મૂળ સ્થિતિમાં લાવવાની જવાબદારી પણ ઉમેદવારે ઉઠાવવી પડશે. નિયમોનું ઉલ્લંઘન કરશે તો દંડ અને જેલની સજાઆ આદેશ આગામી 30 એપ્રિલ 2026 સુધી અમલી રહેશે. જો કોઈ પણ વ્યક્તિ કે પક્ષ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેમાં દંડ અને જેલની સજાની પણ જોગવાઈ છે. વહીવટી તંત્રએ આ આદેશના અમલીકરણ માટે પોલીસ તંત્રને પણ સજ્જ કર્યું છે. જેના માટે હેડ કોન્સ્ટેબલથી ઉપરના હોદ્દા ધરાવતા તમામ અધિકારીઓને ફરિયાદ નોંધવાની સત્તા આપી દેવામાં આવી છે.
ગીર સોમનાથ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. જિલ્લામાં 1005 મતદાન મથકો પર 26 એપ્રિલે મતદાન યોજાશે. જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકો નક્કી કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ બેઠકમાં કુલ મતદાન મથકોમાંથી ખાસ કરીને ચારથી વધુ પોલિંગ બૂથ ધરાવતા કેન્દ્રોને સંવેદનશીલ તરીકે ગણવાનો નિર્ણય લેવાયો હતો. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી વિસ્તારોને વિશેષ નજર હેઠળ રાખવામાં આવશે. ચૂંટણી દરમિયાન મતદારોને કોઈ અગવડ ન પડે અને સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે તમામ વ્યવસ્થાઓની વિગતવાર સમીક્ષા કરાઈ હતી. જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે અધિકારીઓને આચારસંહિતા મુજબ નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી યોજાય તે માટે જરૂરી માર્ગદર્શનો આપ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દરેક તબક્કે ચૂંટણી પ્રક્રિયા અવરોધ વિના પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવું અનિવાર્ય છે. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ માહિતી આપી હતી કે ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે તૈયાર છે. સંવેદનશીલ વિસ્તારોમાં માર્ચપાસ્ટ સહિતના પગલાં લેવામાં આવશે અને શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરાશે. કલેક્ટરએ વધુમાં જણાવ્યું હતું કે જિલ્લામાં કુલ 1010 મતદાન મથકો હતા, જેમાંથી પાંચ બેઠકો બિનહરીફ જાહેર થયા બાદ હવે 1005 મતદાન મથકો પર 26 એપ્રિલે મતદાન થશે. તમામ મથકો પર ઈવીએમ સહિતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને તાલુકાવાર આયોજન સુવ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે. આ મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લા તથા તાલુકા સ્તરના અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહત્તમ મતદાન થાય તેના માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'સ્વેપ' (SVAP) અંતર્ગત ખાસ અભિયાન ચાલી રહ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની ટીમ દ્વારા સમાજના વિવિધ વર્ગોને મતદાન પ્રક્રિયામાં જોડવા માટે પ્રયાસો હાથ ધરાયા છે. જે અંતર્ગત કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ, અંધજન કલ્યાણ મંડળ, માનસિક ક્ષતિવાળા બાળકોનું ગૃહ અને ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર જેવી સંસ્થામાં જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જ્યાં આશ્રીતોએ ઉત્સાહપૂર્વક અમે અવશ્ય મતદાન કરીશું તેવા સામૂહિક શપથ લીધા હતા. લોકશાહીના આ ઉત્સવમાં લોકભાગીદારી વધારવા માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના સખી મંડળો તેમજ સ્વ-સહાય જૂથોની બહેનોએ કલાત્મક પ્રદર્શન કર્યું હતું. બહેનોએ પોતાના હાથમાં મતદાન જાગૃતિના સંદેશા સાથેની મહેંદી મૂકીને સમાજના અન્ય નાગરિકોને મતદાન કરવા માટે પ્રેરણા આપી હતી. શારીરિક કે માનસિક મર્યાદા ધરાવતા મતદારોએ પણ રાષ્ટ્ર પ્રત્યેની પોતાની જવાબદારી અદા કરવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો, જે આ અભિયાનની એક મોટી સફળતા માનવામાં આવે છે. વહીવટી તંત્ર દ્વારા ઉપસ્થિત તમામ મતદારોને મતાધિકારના પવિત્ર મૂલ્ય અને તેની અસરો વિશે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. રાજકોટમાં દવાના બિલ થકી મતદાનની અપીલનો નવતર અભિગમ અપનાવાયો ‘લો ભાઈ આ દવાનું બિલ..’, બિલ જોતાં જ ગ્રાહકોને તા.26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અંગે મતદાનની માહિતી આપતો સ્ટેમ્પ પણ જોવા મળી રહ્યો છે. આ સ્ટેમ્પ ગ્રાહકોને દવા લેતા લેતા તેમની મતદાન કરવાની ફરજ પણ યાદ કરાવશે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'સ્વેપ' પ્રવૃત્તિ અંતર્ગત રાજકોટના મેડિકલ સ્ટોરમાં દવાના બિલમાં તા.26 ના રોજ યોજાનાર તાલુકા-જિલ્લા પંચાયત / મહાનગરપાલિકા / ગોંડલ નગરપાલિકા સામાન્ય / પેટા ચૂંટણી – 2026 મતદાન તારીખ અને 'મારો મત મારો અધિકાર– મતદાન અચૂક કરીએ' નો સંદેશ પણ દર્દીના પરિવાજનોને આપવામાં આવી રહ્યો છે. આ અંગે માહિતી આપતા 'સ્વેપ' ના નોડલ અધિકારી જીજ્ઞાશાબેન ગઢવીએ જણાવ્યું છે કે, મતદાન જાગૃતિ અર્થે અનેક સંસ્થાઓ હાલ સહયોગ આપી રહી છે. શહેર તેમજ જિલ્લા કક્ષાએ મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે પૈકી આરોગ્ય વિભાગના સહયોગથી ખાનગી મેડિકલ સ્ટોર ઉપરાંત મહાનગરપાલિકના જનસેવા કેન્દ્ર તેમજ ટેક્સ બ્રાન્ચમાં પણ બિલ સાથે આ સ્ટેમ્પ દ્વારા મતદાન તારીખ અને મતદાન માટે સહયોગ આપવા અપીલ કરવામાં આવી રહી છે.દવા ખરીદતા કે કોર્પોરેશનમાં ટેક્સ માટે આવતા ગ્રાહકો કે જેઓ મતદાન કરી શકે છે તેઓ બિલ પરના આ સ્ટેમ્પ જોઈ હકારાત્મક પ્રતિભાવ સાથે લોકશાહીના પર્વમાં સહભાગી બનવા પ્રતિબદ્ધતા દર્શાવી રહ્યા છે. મોટર કારના ‘ગોલ્ડન-સિલ્વર’ નંબર માટે 23 એપ્રિલથી ઓનલાઇન રી-ઓક્શનનો પ્રારંભ થશે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા જણાવવામાં આવે છે કે, મોટર કાર પ્રકારના વાહનો માટેની નવી GJ 03 PR સિરીઝ તેમજ અગાઉની સિરીઝના બાકી રહેલા 'ગોલ્ડન-સિલ્વર' નંબર મેળવવા માટે આગામી તા.23 એપ્રિલથી ઓનલાઇન હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.પસંદગીના નંબર મેળવવા ઈચ્છતા અરજદારોએ તા.23 એપ્રિલના સાંજે 4 કલાકથી તા.28 એપ્રિલના સાંજે 4 કલાક સુધીમાં પરિવહન વિભાગની વેબસાઇટ parivahan.gov.in પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ ઓનલાઇન સર્વિસમાં જઈને ફેન્સી નંબર બુકિંગ પર ક્લિક કરી નિર્ધારિત ફી ભરી બિડિંગમાં ભાગ લઈ શકાશે. વાહન માલિકોએ ખાસ નોંધ લેવી કે વાહન ખરીદ્યાના સાત દિવસની અંદર સી.એન.એ. (CNA) ફોર્મ ઓનલાઇન ભરેલું હોવું ફરજિયાત છે, અન્યથા સમય મર્યાદા બહારની અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં.રજીસ્ટર્ડ થયેલા અરજદારો માટે બિડિંગની પ્રક્રિયા તા.28 એપ્રિલના રોજ સાંજે 04:01 કલાકથી શરૂ થશે, જે તા.30 એપ્રિલના રોજ સાંજે 4 કલાક સુધી ચાલશે. આ હરાજીનું પરિણામ તા.30 એપ્રિલના સાંજે 4.15 કલાકે ઓનલાઇન જાહેર કરવામાં આવશે.રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અખાત્રીજે બાળ લગ્નો અટકાવવા સજ્જ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 હેઠળ સમગ્ર રાજ્યમાં લગ્ન માટે યુવકની ઉંમર 21 વર્ષ અને યુવતીની ઉંમર 18 વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે. આ નિર્ધારિત ઉંમર પહેલા થતા લગ્ન કાયદાકીય રીતે ગુનો બને છે. આગામી તારીખ 19/04/2026ના રવિવારના રોજ ‘અક્ષય તૃતીયા’ (અખાત્રીજ)ના દિવસે મોટા પ્રમાણમાં લગ્ન સમારંભો યોજાવાની સંભાવના છે. આ તકે વિવિધ સમુદાયોમાં સગીર વયના બાળકોના લગ્ન ન થાય તે માટે રાજકોટ જિલ્લા મેજિસ્ટ્રેટને વિશેષ સત્તાઓ સાથે તેમને બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી તરીકે જાહેર કરાયા છે. તેઓ બાળ લગ્નો રોકવા માટે જરૂરી તમામ પગલાં લઈ શકશે. રાજકોટ શહેર અને જિલ્લામાં કોઈપણ સ્થળે બાળ લગ્ન ન યોજાય અને જનતાને યોગ્ય માર્ગદર્શન તેમજ કાયદાકીય મદદ મળી રહે તે માટે રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવ્યા છે. જો કોઈપણ નાગરિકને બાળ લગ્ન થતા હોવાની જાણકારી મળે અથવા આ અંગે મદદની જરૂર હોય, તો તેઓ ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર 1098 અથવા કચેરીના ફોન નંબર 0281-2448590 અથવા 2458590 પર સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત, dsdo-raj@gujarat.gov.in પર ઇમેઇલ દ્વારા પણ જાણ કરી શકાશે. આ ઉપરાંત લોકો બહુમાળી ભવન, ગ્રાઉન્ડ ફ્લોર, એસ.બી.આઈ. બેંકની સામે, રાજકોટ -360001 ખાતે આવેલી બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ખાતે સંપર્ક કરી શકશે. મોદી સ્કૂલમાં 18 એપ્રિલે હિંસામુક્ત વિશ્વ અંતર્ગત વર્કિંગ મોડલ્સ, પ્રોજેક્ટ્સ, પોસ્ટર્સ સાથેનું પ્રદર્શન રાજકોટની મોદી સ્કૂલ દ્વારા 18 એપ્રિલના શિક્ષા સે સંસ્કાર: હિંસામુક્ત અને કરુણામય વિશ્વ તરફ એક ડગલું અંતર્ગત પ્રદર્શન રાખવામાં આવ્યું છે. શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી વી. જે. મોદી સ્કૂલ ખાતે તા.18 ના સવારે 9.30 થી સાંજ સુધી પ્રદર્શન યોજાશે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા પોસ્ટર્સ, પ્રોજેક્ટ્સ અને વર્કિંગ તેમજ નોન-વર્કિંગ મોડેલ્સ દ્વારા ગહન વિષયો પર પ્રકાશ પાડવામાં આવશે. જેમાં માનવ શરીર વિરુદ્ધ માંસાહારી પ્રાણીઓ, વૈભવી જીવન અને ક્રૂરતા, આહાર અને સ્વાસ્થ્ય, રોગચાળો અને પશુ ક્રૂરતા, ધર્મ અને અહિંસા, ડિજિટલ જાગૃતિ સહિતના પ્રોજેક્ટ સામેલ છે. આ કાર્ય મોદી સ્કૂલના સ્થાપક ડૉ. રશ્મિકાંત મોદીના માર્ગદર્શન હેઠળ શાળાના સ્ટાફ અને ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ દ્વારા 'શિક્ષા સે સંસ્કાર' કાર્યક્રમ અંતર્ગત તૈયાર કરવામાં આવ્યું છે. રાજકોટના તમામ જીવદયા પ્રેમીઓ, કાર્યકરો અને જનતાને આગ્રહ કરીએ છીએ કે આ પ્રદર્શનની મુલાકાત લઈ વિદ્યાર્થીઓના પ્રોત્સાહનમાં વધારો કરે તેવી અપીલ કરવામાં આવી છે.
અમરેલી જિલ્લામાં લાઠી-ચાવંડ માર્ગ પર ST બસ અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં બોટાદના રહેવાસી બાઇક ચાલક લાલજીભાઈ ગોવિંદભાઈ ચૌહાણનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ માર્ગ પરથી પસાર થઈ રહેલા રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ તાત્કાલિક પોતાનો કાફલો રોક્યો હતો. તેમણે સંવેદના દાખવી મૃતદેહને કપડાથી ઢાંકાવ્યો હતો. મંત્રીઓએ બોટાદ અને અમરેલીના પોલીસ અધિક્ષકો (SPs) ને ટેલિફોનિક જાણ કરી તાત્કાલિક મદદ માટે સૂચના આપી હતી. અમરેલીથી ભાવનગર જતા માર્ગમાં બનેલી આ ઘટના બાદ બંને મંત્રીઓએ સ્થળ પર હાજર રહી રાહત અને બચાવ કામગીરી માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શરૂઆતમાં મૃતકનો મોબાઈલ બંધ હોવાથી ઓળખમાં મુશ્કેલી પડી હતી. જોકે, વાહન નંબર અને આધાર કાર્ડની ચકાસણી બાદ મૃતક બોટાદ વિસ્તારનો હોવાનું સામે આવ્યું હતું. મંત્રીઓએ મૃતકના પરિવારજનોને લાઠી સુધી પહોંચાડવા અને પોસ્ટમોર્ટમ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે માટે સ્થાનિક પોલીસતંત્રને જરૂરી વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી. આ ઘટના અંગે મંત્રી કૌશિક વેકરિયાએ શોક વ્યક્ત કર્યો હતો અને દિવંગત આત્માની શાંતિ તથા શોકગ્રસ્ત પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી.
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામની ગૌરી વિદ્યાલયના શિક્ષક રમેશભાઈ મોતીલાલ પટેલ વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા છે. શાળા પરિવારે તેમનો વિદાય સમારંભ યોજી સન્માન પત્ર, સાકરનો પડો અને પ્રતીક ભેટ આપીને ભાવભેર વિદાય સન્માન કર્યું હતું. રમેશભાઈએ શાળાની શરૂઆતથી જ 19 વર્ષ સુધી ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોનો બાળકોને અભ્યાસ કરાવ્યો હતો. નોન-ગ્રાન્ટેડ શાળા તરીકેની શરૂઆતની મુશ્કેલીઓ વચ્ચે પણ તેમણે સતત સેવા આપી હતી. વિદાય ભાષણ દરમિયાન રમેશભાઈ ભાવુક થઈ રડી પડ્યા હતા. તેમના પત્ની સુરેખાબેન તેમજ વિદ્યાર્થીનીઓ અને બાળકો પણ ભાવવિભોર થયા હતા. વિદ્યાર્થીઓએ ફૂલ પાંદડીઓ વરસાવી અને પ્રતીક ભેટ આપીને તેમને વિદાય આપી હતી. આ કાર્યક્રમ સરવા હાઈસ્કૂલના આચાર્ય વિનોદભાઈ જોષીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં કુણઘેર સ્કૂલના આચાર્ય મોઘજીભાઈ ચૌધરી અને અડિયા હાઈસ્કૂલના આચાર્ય સુનિલભાઈ ઠક્કર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ચંદ્રુમાણા ગ્રામ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ ભાનુભાઇ વ્યાસ, ઉપપ્રમુખ પ્રમોદભાઈ વ્યાસ, ટ્રસ્ટી નિરંજનભાઇ દવે, એલ ડી પટેલ, સલાહકાર ભરતભાઈ રાવલ, સી.આર.સી મૌલિકભાઈ પટેલ, નીતિનભાઈ વ્યાસ, મહાદેવભાઇ દેસાઈ, આચાર્ય સતિષભાઈ જાદવ, નિવૃત્ત સહકર્મી શિક્ષક કમલેશભાઈ પટેલ, પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય નારણજીભાઈ સહિત અન્યોએ રમેશભાઈ પટેલની સેવાઓને બિરદાવી હતી. શિક્ષક કમલેશભાઈએ શાળા ગ્રાન્ટ ન હતી ત્યારે તેઓ અને રમેશભાઈ સાયકલ પર ડબલ સવારી આવતા તેની યાદો તાજી કરી હતી. વિનોદભાઈ જોષીએ કુણઘેર પ્રાથમિક શાળાના આચાર્ય દેવશંકર દાદા, વાસુદેવભાઈ વ્યાસ અને ક્રિકેટ કોમેન્ટેટર ભરતભાઈ રાવલને તેમના પ્રેરક ગણાવ્યા હતા. ભાનુભાઈ, પ્રમોદભાઈ અને ભરતભાઈએ રમેશભાઈને આ ગામ તેમનું પોતાનું છે અને ગામમાં આવતા-જતા રહેવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં સરપંચ કાજલબેન વ્યાસનો શુભેચ્છા સંદેશ પણ આપવામાં આવ્યો હતો. ઉપસરપંચ મોબુજી ઠાકોર, સભ્ય બળવંતસિંહ દરબાર, શિક્ષકો નિમેષભાઈ જાની, ભરતભાઈ પટેલ, મહેશભાઈ શાસ્ત્રી, પ્રાથમિક શાળાના શિક્ષકો અને આરોગ્ય કર્મચારી મહેશભાઈ પ્રજાપતિ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.
ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે બજરંગ દળનું આંદોલન:દેશભરના જિલ્લા મથકો પર આવેદનપત્ર, કડક કાર્યવાહીની માંગ
દેશભરમાં વધી રહેલી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ દ્વારા રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આ સંગઠનોએ ગીર સોમનાથ સહિત દેશભરના જિલ્લા મથકો પર આવેદનપત્રો પાઠવી કડક કાર્યવાહીની માંગ કરી છે. સંગઠનોનો આરોપ છે કે સમાજના વિવિધ ક્ષેત્રોમાં આવી પ્રવૃત્તિઓ વધવાને કારણે અસુરક્ષા અને અસંતુલનની સ્થિતિ સર્જાઈ રહી છે. મહારાષ્ટ્રના નાસિકમાં તાજેતરમાં સામે આવેલી ઘટનાને ટાંકીને, દેશના અનેક વિસ્તારોમાં જમીન પચાવી પાડવી, સામાજિક તણાવ ઊભો કરવો અને સગીરાઓનું શોષણ જેવી ગંભીર ઘટનાઓ સતત પ્રકાશમાં આવી રહી છે. આ પરિસ્થિતિના વિરોધમાં, બજરંગ દળ દ્વારા વેરાવળ ખાતે ડેપ્યુટી કલેક્ટર મારફતે રાજ્યપાલને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સંગઠનના કાર્યકરોએ જણાવ્યું હતું કે જો આવી પ્રવૃત્તિઓ પર સમયસર નિયંત્રણ નહીં લાવવામાં આવે, તો તે સમાજની શાંતિ અને સુવ્યવસ્થા માટે ગંભીર ખતરો બની શકે છે. તેથી, તેમણે સરકારને આ મુદ્દે તાત્કાલિક અને દૃઢ પગલાં લેવા વિનંતી કરી છે.
વડોદરામાં રક્તદાન શિબિરનું આયોજન:માતા હરદેવીની પુણ્યતિથિએ સજ્જણ દરબાર દ્વારા વારસિયામાં આયોજન
વડોદરાના વારસિયા વિસ્તારમાં સજ્જણ દરબાર દ્વારા માતા હરદેવીની 40મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર 18 એપ્રિલ, 2026ના રોજ યોજાશે. આ રક્તદાન શિબિર શનિવારે સવારે 9.30 થી સાંજે 5.30 વાગ્યા સુધી ચાલશે. તેનું આયોજન ટી/૨૮, ૪૪૫ કોટ એરિયા, એસ.કે. કોલોની, ઝુલેલાલ મંદિર મેઈન રોડ, વારસિયા, વડોદરા ખાતે કરવામાં આવ્યું છે. આયોજકોએ લોકોને માનવ સેવાના આ કાર્યમાં જોડાઈને વધુમાં વધુ રક્તદાન કરવા અપીલ કરી છે. એકવારનું રક્તદાન ત્રણ જેટલા જીવન બચાવી શકે છે. સમાજના યુવાનો અને નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.
અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 2011માં ચુકાદો આપતા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત આવક કરતા વધુ સંપતિના કેસમાં વલસાડના પારડીમાં તત્કાલીન સિવિલ જજ અને મેજિસ્ટ્રેટ પ્રેમજી ગોહિલને 2 વર્ષ કેદની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જેની સામે જજે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જો કે હાઇકોર્ટે જજની અપીલ નકારી નાખતા. તેમને 15 દિવસની અંદર જેલ સમક્ષ સરેન્ડર કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે. જજે હોદ્દાનો દુરુપયોગ કરીને 7 લાખનો ચેક ભેટ સ્વરૂપે સ્વીકાર્યાનો આક્ષેપ કેસને વિગતે જોતા જજ, તેમની પત્ની અને સાળા સામે ACBએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત ગુનો નોંધ્યો હતો. જેની ટ્રાયલમાં આરોપી જજની પત્ની અને સાળો નિર્દોષ છૂટ્યા હતા. જ્યારે જજને 2 વર્ષ કેદની સજા કરવામાં આવી હતી. જજે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને 7 લાખ રૂપિયાની ભેટ ચેક સ્વરૂપે સ્વીકાર્યાનો આક્ષેપ છે. જેનો રિપોર્ટ તેને ઉપરી ઓથોરિટીને આપ્યો ન હતો. વળી તેમની ઉપર લાંચ લેવાની આદતનો આક્ષેપ છે. જેઓ પોતાની કોર્ટમાં આવેલા કેસમાં ફેવર કરતા હતા. જજે આરોપી પાસેથી નિવાસ સ્થાનની બહારનો રોડ બનાવડાવ્યો હતોઅરજદારના કુટુંબમાં એક મિલકતની ખરીદી 5.51 લાખ રૂપિયામાં થઈ હતી. જેની બજાર કિંમત 36 લાખ રૂપિયા જેટલી હતી. વળી જજે એક આરોપી પાસેથી પોતાના નિવાસ સ્થાનની બહારનો રોડ બનાવડાવ્યો હતો. 'આરોપીને કોઈ પારિવારિક સંબંધ નહોતો'હાઈકોર્ટે નોંધ્યું હતું કે, ભેટ આપનાર વ્યક્તિ સાથે અરજદાર આરોપીને કોઈ પારિવારિક સંબંધ નહોતો. અરજદારે ઉપરોક્ત રકમ કાયદેસરના સ્ત્રોતમાંથી મેળવી છે, તેવું તે સાબિત કરી શક્યા નથી.
બોટાદના હરણકુઈમાં ભંગારના ડેલામાં વિકરાળ આગ:ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા, ફાયર ઘટનાસ્થળે
બોટાદના હરણકુઈ વિસ્તારમાં આવેલા એક ભંગારના ડેલામાં ભીષણ આગ લાગી છે. આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા, જેને જોવા માટે આસપાસના લોકો એકઠા થયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બોટાદ નગરપાલિકાના બે ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે.
BIG NEWS| ઈરાનનો મોટો નિર્ણય: હોર્મુઝ સ્ટ્રેટ તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત
Strait of Hormuz Reopens : ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે, ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે થયેલા યુદ્ધવિરામ બાદ હવે હોર્મુઝ સ્ટ્રેટ તમામ વ્યાપારી જહાજો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ નિર્ણયથી વૈશ્વિક બજારમાં તેલના ભાવ અને માલસામાનની સપ્લાય ચેઈનને મોટી રાહત મળશે.
મૂળ મોરબીના અને હાલ રાજકોટના વાછકપર બેડી ગામમાં રહેતા રોનીલભાઈ ચંદ્રાલાના ઘરમાં ઘુસી તેમની પત્નીનું અપહરણ કરી લઇ જતા પત્નીના મોટા બાપુ કિશોરભાઈ કુકરવાડીયા, તેમનો પુત્ર જય, મામાનો દીકરો આકાશ ગામી અને ફઈનો દીકરો કુલદીપભાઇ ધોડાસરા વિરુદ્ધ કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે યુવકે 6 મહિના પહેલા મોરબીની યુવતી સાથે પ્રેમલગ્ન લગ્ન કર્યા હતા જેનો ખાર રાખી યુવતીના પરિવારજનો સમાધાન કરવા બહાને ઘરે આવી પત્નીને અપહરણ કરી લઇ જતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. મોરબીના વતની અને હાલ રાજકોટમાં રહેતા 27 વર્ષીય રોનીલભાઈ અમૃતભાઈ ચંદ્રાલાએ આ મામલે પોતાના પત્નીના સંબંધીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. રોનીલભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમણે છ મહિના પૂર્વે મોરબીની ઇશીતા કુકરવાડીયા સાથે પ્રેમસંબંધ હોવાથી ફેબ્રુઆરી 2026માં અમરેલી જિલ્લાના કુકાવાવ ખાતે પ્રેમલગ્ન કર્યા હતા. ગત 14.04.2026ની રાત્રે 12.45 વાગ્યા આસપાસ ફરિયાદી રોનીલભાઈ તેમના પરિવાર સાથે વાછકપર બેડી ગામે ઘરે હાજર હતા, ત્યારે પત્નીના પિયર પક્ષના સભ્યો ધસી આવ્યા હતા. જેમાં પત્નીના મોટા બાપુ કિશોરભાઈ કુકરવાડીયા, તેમનો પુત્ર જય, મામાનો દીકરો આકાશ ગામી અને ફઈનો દીકરો કુલદીપ ધોડાસરા સહિત અન્ય ચાર અજાણ્યા શખ્સોએ ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. તમામ શખ્સોએ ફરિયાદીના પરિવારને બિભત્સ ગાળો આપી ધાકધમકી આપી હતી. દરમિયાન આકાશ નામના શખ્સે ફરિયાદીને ઢીકાપાટુનો માર માર્યો હતો, જ્યારે કિશોરભાઈએ રોનીલભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી ઇશીતાબેનને પોતાની સાથે ઘરે આવવા દબાણ કર્યું હતું. આ હુમલા બાદ આરોપીઓ ઇશીતાબેનને બળજબરીથી પકડીને ઘરની બહાર લઈ ગયા હતા અને ત્યાં ઉભેલી એક ફોર-વ્હીલર કારમાં બેસાડી તેમનું અપહરણ કરીને નાસી છૂટ્યા હતા. ફરિયાદીએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં જ્ઞાતિના રીત-રિવાજ મુજબ ઘરમેળે સમાધાનની વાતો ચાલતી હોવાથી તેમણે પોલીસ ફરિયાદ કરી ન હતી, પરંતુ બે દિવસ વિતવા છતાં પત્નીનો કોઈ પત્તો ન લાગતા આખરે તેમણે કાયદાનો આશરો લીધો છે. હાલ કુવાડવા પોલીસે આ મામલે BNSની કલમ 140(3), 115(2), 352 અને 127(3) હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સેવક ખીમજીભાઈ બારડ સેવા નિવૃત:એમ. એલ. દોશી અધ્યાપન મંદિરમાં વિદાય સમારંભ યોજાયો
સુરેન્દ્રનગર: એમ. એલ. દોશી સ્ત્રી બુનિયાદી અધ્યાપન મંદિરમાં સેવક ખીમજીભાઈ બારડનો વિદાય સમારંભ ૧૭ એપ્રિલ, ૨૦૨૬, શુક્રવારના રોજ યોજાયો હતો. તેઓ ૩૮ વર્ષની સેવા બાદ નિવૃત થયા છે. સંસ્થામાં ૩૮ વર્ષ સુધી સેવા આપનાર ખીમજીભાઈને સ્ટાફ પરિવાર અને તાલીમાર્થીઓ દ્વારા શ્રીફળ, સાકરનો પડો અને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અધ્યાપક વિરેન્દ્રસિંહ ઝાલા અને અન્ય સહકાર્યકરો દ્વારા તેમને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વિદાય સમારંભમાં ખીમજીભાઈના બંને દીકરીઓ અને જમાઈ સહિત પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટીના ઉપપ્રમુખ પારસભાઈ શાહ અને મંત્રી દિપકભાઈ શાહ દ્વારા ખીમજીભાઈને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આચાર્ય ડો. અલકાબેન દેવમુરારી, ડો. સુમિતાબેન મેઢા અને ઇન્દુબેન વસાણી તેમજ તાલીમાર્થી બહેનો દ્વારા પણ ખીમજીભાઈને વિદાય નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ આપવામાં આવી હતી.
પાટણ નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર દરમિયાન વોર્ડ નંબર 9 ના કોંગ્રેસના ઉમેદવારોએ અનોખી પહેલ કરી છે. તેમણે શહેરના મોતીશ દરવાજાથી ખોડિયાર માતાજી ચોકડી સુધીના ખરાબ રસ્તા પરના ખાડાઓ પોતાના સ્વખર્ચે પૂરીને લોકસેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ વોર્ડમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ ચૂંટણી પ્રચારની પરંપરાગત રીત છોડીને જનહિતના કાર્યો પર ભાર મૂક્યો છે. મતવિસ્તારમાં ભ્રમણ દરમિયાન રસ્તાની બિસ્માર હાલત જોઈને ઉમેદવારોએ આ નિર્ણય લીધો હતો. વોર્ડ નંબર 9 ના ચાર ઉમેદવારો - અલ્કેશભાઈ મનોરભાઈ પટેલ, સુભદ્રાબેન તરૂણભાઈ મોદી, ગીતાબેન દશરથજી ઠાકોર અને દિનેશભાઈ સેંધાભાઈ પટણી - દ્વારા આ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. મોતીશ દરવાજાથી ખોડિયાર માતાજી ચોકડી સુધીના મુખ્ય માર્ગ પરના ખાડાઓને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ સમસ્યાના નિરાકરણ માટે ઉમેદવારો અને કાર્યકરોએ પોતાની વ્યક્તિગત મૂડી ખર્ચીને ખાડાઓ પૂરવાનું કામ કર્યું. આ ચાર ઉમેદવારોમાં પૂર્વ પ્રમુખ દિનેશભાઈ પટણી અને પૂર્વ કોર્પોરેટર ગીતાબેન ઠાકોર જેવા અનુભવી ચહેરાઓનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે ચૂંટણીમાં નેતાઓ વચનો આપતા હોય છે, ત્યારે ઉમેદવારોએ સીધું કામ કરીને પ્રચાર કરતા આ બાબત સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બની છે. આ પ્રચાર દ્વારા ઉમેદવારોએ સત્તા પર આવ્યા પહેલા પણ જનતાના પાયાના પ્રશ્નો ઉકેલવા કટિબદ્ધ હોવાનો સંદેશ આપ્યો છે.
મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં મોડાસા-ગોધરા હાઇવે પર ક્રિસ્ટલ સ્કૂલ સામે એક પેસેન્જર ભરેલો છકડો પલટી ગયો હતો. આ અકસ્માતમાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં બે મહિલા, એક પુરુષ અને એક બાળકનો સમાવેશ થાય છે. પ્રાથમિક માહિતી અનુસાર, છકડા ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા આ ઘટના બની હતી. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
GCAS પોર્ટલ બંધ કરવા અથવા તો તેમાં પ્રાઇવેટ યુનિવર્સિટીનો પણ સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે ABVPએ મોરચો માંડ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના સામે મોટી સંખ્યામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓએ ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો. સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે શરૂ કરાયેલા GCAS પોર્ટલના કારણે ખાનગી યુનિવર્સિટીઓને ફાયદો થતો હોવાનો ABVPએ આક્ષેપ કર્યો છે. જેથી GCAS પોર્ટલ બંધ નહીં કરવામાં આવે તો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. GCAS પોર્ટલને બંધ કરવાની ABVPએ માગ કરીસરકાર દ્વારા રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે GCAS પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી GCAS પોર્ટલથી વિદ્યાર્થીઓને સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ આપવામાં આવે છે. પરંતુ હવે ABVPએ તેને બંધ કરવાની માગ કરી છે. GCAS પોર્ટલની જટિલ પ્રક્રિયા અને અનિચ્છિતતાના કારણે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જતા હોવાના આક્ષેપ સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીની સામે મોટી સંખ્યામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ ધરણા પ્રદર્શન પર બેઠા હતા. પ્રાઈવેટ યુનિવર્સિટીઓને સમાવેશ કરવા માગ કરીGCASની ખામીઓમાં કારણે ગત વર્ષે એક લાખ કરતા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા હોવાનો ધરણા પ્રદર્શન દરમિયાન દાવો કરવામાં આવ્યો છે. જેથી GCAS પોર્ટલ બંધ કરવામાં આવે અથવા તેમાં પ્રાઈવેટ યુનિવર્સિટીઓને સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે દેખાવો કર્યો હતો. GCAS પોર્ટલ બંધ કરો ના પણ નારા વિદ્યાર્થીઓએ લગાવ્યા હતાં. જો સરકાર આ વર્ષે GCAS પોર્ટલ બંધ નહીં કરે તો રાજ્યભરની તમામ યુનિવર્સિટીઓમાં વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રજીસ્ટ્રેશન ફી ઓછી કરવા ABVPએ માગ કરીગુજરાત પ્રદેશ મંત્રી દેવાંશ ભ્રમભટ્ટએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર ગુજરાતમાં જિલ્લાઓમાં સરકાર દ્વારા પ્રવેશ પ્રક્રિયા માટે શરૂ કરવામાં આવેલા GCAS પોર્ટલની નિષ્ફળતાને જાગૃત કરવાનું કામ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કરી રહ્યું છે. દરેક કેમ્પસ અને વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ GCAS પોર્ટલમાં પ્રાઇવેટ યુનિવર્સિટીનો સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. ગામડાઓથી આવતા આદિવાસી વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશનની 300 રૂપિયા ફી લેવામાં આવી રહી છે તેથી તે પણ ઓછી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છીએ. જેથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી વિરોધ નોંધાવી રહ્યા છે. 'અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરીશું'વધુમાં દેવાંશ ભ્રમભટ્ટએ જણાવ્યું હતું કે, ગત વર્ષે ફોર્મ ભરેલા વિદ્યાર્થીઓમાંથી એક લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને એડમિશન મળ્યા નથી, જેનું કારણ માત્ર અને માત્ર GCAS છે. જે તમામ લોકોએ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન લઈ લીધા છે. પ્રાઇવેટ યુનિવર્સિટીના લોકોએ સરકારના કેટલાક લોકોને ખરીદી લીધા છે. તે જ લોકો આખી રેકેટ ચલાવી રહ્યા છે. જેથી અમારી માંગણી છે કે પ્રાઇવેટ યુનિવર્સિટીને પણ આમાં સમાવેશ કરવામાં આવે. જો અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરીશું. GCAS એ રકાસ સાબિત થઈ ગયું છે. છતાં પણ તેમણે પરીક્ષાના આગલાં દિવસ સુધી પ્રવેશ આપવામાં આવે છે. જો પ્રાઇવેટ યુનિવર્સિટીનો સમાવેશ નહીં કરવામાં આવે તો પહેલા જે પ્રમાણે પ્રવેશ આપવામાં આવતો હતો તે રીતે જ પ્રવેશ પ્રક્રિયા લાગુ કરવામાં આવે તેવી અમારી માંગ છે.
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સુરતના પરવટ ગામ સ્થિત વીર ભાથીજી યુવક મંડળ દ્વારા એક સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત 200થી વધુ વિદ્યાર્થીઓને સ્કૂલ ડ્રેસ અને શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું. મંડળ દ્વારા ઈન્દ્રર, વાંકોલ, ગોચરિયા અને કસુંદર ગામોની પ્રાથમિક શાળાઓના 200થી વધુ વિદ્યાર્થીઓ માટે વિશેષ સેવા કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં વિદ્યાર્થીઓને સ્કૂલ યુનિફોર્મ, થાળી-વાડકી અને પેન્સિલ-રબર જેવી શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું. બાળકો માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરાઈ હતી. તિલકવાડાના આ ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ સુધી પહોંચવું પડકારજનક છે. મર્યાદિત સુવિધાઓ વચ્ચે આવા પ્રયાસો બાળકોને શાળાએ આવવા માટે પ્રોત્સાહિત કરે છે. આ સહાયથી બાળકોમાં શાળા પ્રત્યેનો ઉત્સાહ વધ્યો છે. શાળાના શિક્ષકોએ જણાવ્યું કે, આવી પહેલ બાળકોમાં શૈક્ષણિક રસ વધારવાની સાથે વાલીઓમાં પણ શિક્ષણ પ્રત્યે સકારાત્મકતા લાવે છે. સ્થાનિક ગ્રામજનોએ પણ મંડળના આ કાર્યની પ્રશંસા કરી હતી. મંડળના પ્રતિનિધિઓએ માહિતી આપી હતી કે તેઓ ભવિષ્યમાં પણ તિલકવાડાના અંતરિયાળ ગામોમાં શિક્ષણ અને આરોગ્ય સંબંધિત સેવાકીય કાર્યો ચાલુ રાખશે.
વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટે 14વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવનાર 22 વર્ષીય આરોપી કૈલેશ નરોત્તમ વસાવાને 20વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને 30હજાર રૂપિયાનો દંડ પણ કર્યો છે. આ ચુકાદામાં, કોર્ટે ભોગ બનનાર કિશોરીને 'ગુજરાત વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ' હેઠળ કુલ 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. આરોપી કૈલેશ વસાવા પોતે બે સંતાનોનો પિતા છે. આ ઘટના એપ્રિલ 2022માં બની હતી. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની 14વર્ષીય કિશોરી ભીલાડ ખાતે એક હોટલમાં કામ કરવા ગઈ હતી. આરોપી કૈલેશ વસાવા પણ તે જ હોટલમાં નોકરી કરતો હતો. રાત્રિના સમયે, હોટલના કોમન હોલમાં બધા સૂતા હતા ત્યારે, આરોપીએ કિશોરીની એકલતાનો લાભ લઈ તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ કૃત્યના પરિણામે કિશોરી ગર્ભવતી બની હતી. જ્યારે પરિવારને આ વાતની જાણ થઈ અને ખાનગી ક્લિનિકમાં તપાસ કરાવી, ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ ભીલાડ પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ કેસ વાપીના સ્પેશિયલ પોક્સો જજ એચ.એન. વકીલની કોર્ટમાં ચાલ્યો હતો. પબ્લિક પ્રોસિક્યુટર અનિલ ત્રિપાઠીની દલીલો અને રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાને રાખી કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો હતો. કોર્ટે આરોપીને પોક્સો એક્ટની કલમ 4, કલમ 6, અને IPC કલમ 376(2)(એન) તથા 376(૩) હેઠળ 20-20 વર્ષની કેદ અને પ્રત્યેક કલમ હેઠળ 10-10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે આ તમામ સજાઓ એકસાથે ભોગવવાનો હુકમ કર્યો છે. દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજાનો પણ આદેશ અપાયો છે. ડીએનએ રિપોર્ટ અને પુરાવાકેસ દરમિયાન કિશોરીએ બાળકને જન્મ આપ્યો હતો. જોકે, પોલીસ વિભાગની બેદરકારીને કારણે ડીએનએ સેમ્પલની 'ચેન ઓફ કસ્ટડી' જળવાઈ ન હતી, જેથી કોર્ટે ડીએનએ રિપોર્ટને ગ્રાહ્ય રાખ્યો ન હતો. આમ છતાં, ભોગ બનનાર કિશોરીની મક્કમ જુબાની અને અન્ય સંજોગોવસાત પુરાવાઓના આધારે કોર્ટે આરોપીને કડકમાં કડક સજા કરી સમાજમાં દાખલો બેસાડ્યો છે.
રાજકોટના શિતલ પાર્ક વિસ્તારમાં રહેતી મહિલાએ તેના પૂર્વ પતિ વિરુદ્ધ જાનથી મારી નાખવા અને ગાળાગાળી કરવા બદલ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે મહિલાના પ્રથમ લગ્નના છૂટાછેડા થયા બાદ અલ્તાફ ખિયાણી સાથે પ્રથમ કોર્ટ મેજેર કર્યા હતા અને મનમેળ ન થતા 6 મહિના પછી તેની સાથે પણ છૂટાછેડા લીધા હતા દરમિયાન ગઈકાલે અલ્તાફ ખિયાણીએ ઘરે આવી ધમકી આપી શેરીમાં હોબાળો કરતા ફરિયાદ નોંધાવી છે હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે. ફરિયાદી અફસાના ચૌહાણએ જણાવ્યું હતું કે, વર્ષ 2015માં લગ્ન કર્યા હતા અને મારે સંતાનમાં એક દીકરો તથા એક એક દીકરી છે. પ્રથમ લગ્ન જેની સાથે કર્યા તેની સાથે 2023માં છટાછેડા થઇ ગયા પછી બન્ને બાળકો મારી સાથે રહે છે. ગત તા.05.02.2025ના રોજ અલ્તાફ બસીર ખીયાણી સાથે કોર્ટમાં લવ મેરેજ કર્યા હતા જો કે રોજબરોજ ઝઘડા થતા 6 મહિના બાદ અલ્તાફ સાથે છૂટાછેડા લઇ લીધા હતા. ગઈકાલે સાંજના 5 વાગ્યે હું મારી ઘરે હતી ત્યારે અલ્તાફ બસીર ખીયાણીએ ફોન કરી શું કરશ પૂછતાં હું ઘરમાં અંદર છું કહ્યું હતું. આ સમયે અલ્તાફ ઘરની બહાર કાળા કલરની નંબર પ્લેટ વગરની થાર ગાડી લઇ આવ્યો હતો જેથી હું મારા માતા પિતા તથા, મારા ભાભી, મારા બહેન અમે બધા ઘરની બહાર નીકળ્યા ત્યારે મારા પિતાએ અલ્તાફને કહ્યું કે મારી ઘરે કેમ આવ્યો તારે અમારા ઘરે નહિ આવવાનું જેથી અલ્તાફ મારા પિતાને તથા અમને બધાને ગાળો આપવા લાગ્યો હતો અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમયે ફરી જો તું પાછી મારી સાથે નહિ રહે તો હું તને અને તારા મા-બાપ તથા બાળકોને મારી નાખીશ તેવી ધમકી આપતો હતો. આ પછી મારો ભાઇ હૈદર આવી જતા તેને પણ અલ્તાફને સમજાવટ કરી હતી પરંતુ તે કોઈ વાત સમજવા તૈયાર ન હતો અને શેરી વચ્ચે બેફામ ગાળાગાળી કરતો હતો. હાલ મહિલાની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે અલ્તાફ બસીર ખીયાણી વિરુધ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
ગીર સોમનાથ જિલ્લામાં દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. દરિયાઈ માર્ગે કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. આ કાર્યવાહી અંતર્ગત, 17 એપ્રિલ 2026ના રોજ વહેલી સવારે હિરાકોટ બંદર, કદવાર અને જંગલ વિસ્તારથી લઈને સુત્રાપાડા સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ સંયુક્ત ઓપરેશનમાં SOG પોલીસ સ્ટાફ, મરીન કમાન્ડો ફોર્સ અને સોમનાથ મરીન પોલીસના જવાનો જોડાયા હતા. નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના સૂચન મુજબ આ કામગીરી યોજાઈ હતી. મરીન કમાન્ડો ડી.વાય.એસ.પી. એસ.આર. શર્મા, સોમનાથ મરીન પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી. વસાવા, એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. કાગડા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એચ. સુવા સહિતના અધિકારીઓએ ટીમનું નેતૃત્વ કર્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન, પોલીસે દરિયાકાંઠાના સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી શંકાસ્પદ હલચલ પર નજર રાખી હતી. આ ઉપરાંત, માછીમારો અને સ્થાનિક લોકોને પણ સુરક્ષા બાબતે જાગૃત કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે, જેથી દરિયાઈ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરી શકાય.
ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પોર્ટલની વિસંગતતાઓ સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ગેટ બહાર વિરોધ પ્રદર્શન અને ધરણા કરવામાં આવ્યા હતા. ABVP એ કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી પોર્ટલની ખામીઓ સુધારવા અને રજિસ્ટ્રેશન ફી ઘટાડવાની માંગ કરી છે. જો વિદ્યાર્થી હિતમાં નિર્ણય નહીં લેવાય તો રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલા GCAS પોર્ટલમાં સર્વર ડાઉન થવા જેવી ટેકનિકલ સમસ્યાઓ અને પ્રવેશ પ્રક્રિયામાં વિલંબને કારણે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. રજિસ્ટ્રેશન માટે વસૂલવામાં આવતી ₹300ની ફી અને 33 જેટલા લાંબા રાઉન્ડ ચાલવા છતાં અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જાય છે. ખાસ કરીને, આ પોર્ટલમાંથી ખાનગી યુનિવર્સિટીઓને બાકાત રાખવામાં આવતા વિદ્યાર્થીઓને સમયસર સરકારી કોલેજોમાં પ્રવેશ મળતો નથી. પરિણામે, તેમને ખાનગી સંસ્થાઓમાં ઊંચી ફી ભરીને એડમિશન લેવાની ફરજ પડે છે. આ સ્થિતિને કારણે રાજ્યની સરકારી વિશ્વવિદ્યાલયો અને સંલગ્ન કોલેજોની હાલત કથળી રહી છે. ABVP પાટણ વિભાગ સંયોજક રાહુલ દેસાઈએ જણાવ્યું હતું કે પોર્ટલ પર 4.5 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ હજુ પણ પ્રવેશથી વંચિત છે. વિદ્યાર્થી સંગઠને માંગ કરી છે કે કાં તો ખાનગી યુનિવર્સિટીઓનો તાત્કાલિક GCAS માં સમાવેશ કરવામાં આવે અથવા તો આ પોર્ટલને માત્ર ડેટા એકત્રીકરણ પૂરતું મર્યાદિત રાખી પ્રવેશ પ્રક્રિયાને યુનિવર્સિટીઓને સોંપવામાં આવે. વધુમાં, રજિસ્ટ્રેશન ફી સંપૂર્ણપણે નાબૂદ કરી પ્રક્રિયા નિઃશુલ્ક બનાવવાની પણ માંગ કરવામાં આવી છે. અગાઉ પણ આ મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોઈ ઉકેલ ન આવતા હવે ABVP એ ઉગ્ર વિરોધનો માર્ગ અપનાવ્યો છે.
બાયડમાં CM ભૂપેન્દ્ર પટેલનું હેલિકોપ્ટર બગડ્યું અરવલ્લીના બાયડમાં પ્રચાર માટે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટલનું હેલિકોપ્ટર બગડ્યું.. ટેક ઓફ પહેલા જ ટેક્નિકલ ફોલ્ટ આવતા તેમણે બાય રોડ પોતાનો પ્રવાસ પૂરો કર્યો .. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્રચાર માટે નીકળેલા ઉમેદવારનો વિરોધ સુરતમાં કતારગામ-વેડ વોર્ડ નંબર 7 માં ભાજપના ઉમેદવાર રઘુ ખૂંટને જનતાના ભારે રોષનો સામનો કરવો પડ્યો.. શંકરનગર સોસાયટીમાં પ્રચાર માટે પહોંચેલા ઉમેદવારને રહીશોએ આડે હાથ લીધા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હર્ષ સંઘવીએ નામ લીધા વગર વિપક્ષ પર પ્રહાર કર્યા સુરતમાં હર્ષ સંઘવીએ કોઈનું નામ લીધા વગર આમ આદમી પાર્ટી અને અન્ય વિપક્ષી નેતાઓ પર આકરા પ્રહારો કર્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અમરાઈવાડી વિધાનસભાના વ્હોટ્સએપ ગૃપમાં કકળાટ અમદાવાદના અમરાઈવાડી વિધાનસભાના ભાજપના ગ્રુપના સ્ક્રીનશોટે સોશિયલ મીડિયામાં ચર્ચા જગાવી. ગૃપમાં મહિલા કાર્યકર્તાએ બળાપો ઉમેદવારની પસંદગી પર બળાપો ઠાલવ્યો. કહ્યું કોઈ જ કામ નથી કર્યું તેમ છતાં બેઠાં બેઠાં ટિકિટ મળી ગઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કોંગ્રેસ પ્રમુખ પર મહિલા કાર્યકર્તાનો આક્ષેપ અમદાવાદના રખિયાલ વોર્ડના કોંગ્રેસ કાર્યકર્તાએ પ્રમુખ સોનલ પટેલ પર કર્યા ગંભીર આક્ષેપ..કહ્યું,AMCની ચૂંટણી લડવા સોનલ પટેલે એક લાખ લીધા પણ ટિકિટ ન આપી.. મેં તેમના વાળ પકડીને લાફો માર્યો.. તો સોનલ પટેલે આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આસારામનો આશ્રમ ભોંયભેગો થશે આસારામ આશ્રમને વચગાળાની રાહત આપવાનો હાઈકોર્ટનો ઈનકાર.. હવે 500 કરોડની જમીન પર બનેલો આશ્રમ તૂટશે.. કોર્ટે આસારામ આશ્રમ ટ્ર્સ્ટને આદત મુજબ ગુનો કરનાર ગણાવ્યું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સાણંદના યુવકે બિહારના સીએમને આપી ધમકી અમદાવાદના સાણંદના યુવકે બિહારના સીએમ સમ્રાટ ચૌધરીને ફોન કરી મારી નાખવાની ધમકી આપી.. પોલીસે શેખર યાદવ નામના યુવકની ધરપકડ કરી તેને બિહાર પોલીસને સોંપવામાં આવશે. . આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગિરનારમાં મંદિરો પર કબજા થતા હોવાનો આક્ષેપ ગિરનારમાં જમીનો પર જૈન સંપ્રદાય દ્વારા દબાણો થતા હોવાનો આક્ષેપ..મહંત મહેશગીરી બાપુએ કહ્યું કે ગિરનારમાં મંદિરોમાં કબજા થઈ રહ્યા છે. જૈન સંપ્રદાયને 2000 વાર જમીન અપાઈ. તેમણે આને ભ્રષ્ટાચાર ગણાવ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આરોપીના પુત્રએ ફરિયાદીના પુત્રને ફોન કરી ધમકાવ્યો સુરતમાં પ્રસાદીના લાડુમાં ઝેર ભેળવવાની ઘટનામાં હવે આરોપીના પુત્રએ ભોગ બનનારના પુત્રને ફોન કરી ધમકાવ્યો. ફરિયાદ પાછી લેવડાવવા માટે વિદેશમાં બેઠેલા યુવકને દબાણ કરી ધમકી આપી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નમો સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત ટાઈટન્સ અને કોલકતા નાઈટ રાઈડર્સ વચ્ચે જંગ.. ગુજરાત ટાઈટન્સ છેલ્લી બે મેચમાં જીત સાથે ફોર્મમાં છે, જ્યારે કોલકાત્તાની ટીમ ખરાબ ફોર્મમાં છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી પૂર્વે વોર્ડ નં. 8 (ડભોલી-સિંગણપોર) ના ભાજપના મહિલા ઉમેદવાર વંદનાબેન ઘોઘારી વિવાદમાં સપડાયા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે વંદનાબેનને ત્રણ સંતાનો હોવા છતાં તેમણે સોગંદનામામાં આ વિગત છુપાવી ચૂંટણી પંચને ગેરમાર્ગે દોર્યા છે. આ મામલે કોંગ્રેસ દ્વારા પુરાવા સાથે ચૂંટણી પંચમાં ગંભીર ફરિયાદ નોંધાવી ઉમેદવારી રદ કરવાની માંગ કરવામાં આવી છે. ઉલ્લેકનીય છે કે, આ ઘટનાથી સુરતનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. જો આ આક્ષેપો સાચા સાબિત થશે, તો ભાજપના ઉમેદવારની ઉમેદવારી જોખમમાં મુકાઈ શકે છે. જોકે, દિવ્ય ભાસ્કરે વોર્ડ નંબર 8ના ઉમેદવાર વંદનાબેન ઘોઘારીને બાળકો અંગેનો સવાલ કરતાં જ તેઓએ હું પ્રચારમાં છું કહી ફોન કટ કરી નાખ્યો હતો. વિવાદનું મુખ્ય કારણ અને નિયમોગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના નિયમો અનુસાર, બે થી વધુ સંતાનો ધરાવતા ઉમેદવાર ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરે છે. કોંગ્રેસનો દાવો છે કે વંદનાબેન ઘોઘારીએ તેમના એફિડેવિટમાં સંતાનો હોવાનો ઉલ્લેખ જ કર્યો નથી, જે કાયદાકીય દૃષ્ટિએ ગંભીર ભૂલ ગણાય છે. સંતાનો અંગે કોંગ્રેસના આક્ષેપોકોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવેલી ફરિયાદમાં ઉમેદવારના વૈવાહિક જીવનના પાસાઓ ટાંકીને પુરાવા રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં જણાવાયું છે કે, વંદનાબેનને તેમના પ્રથમ લગ્ન દરમિયાન બે બાળકો થયા હતા. પ્રથમ પતિ સાથે છૂટાછેડા લીધા બાદ ઠાકરશીભાઈ ઘોઘારી સાથેના બીજા લગ્નથી તેમને વધુ એક સંતાન પ્રાપ્ત થયું હતું. આમ, ટેકનિકલી રીતે વંદનાબેન કુલ ત્રણ સંતાનોના માતા હોવા છતાં તેમણે સોગંદનામામાં આ સત્ય છુપાવ્યું છે. ચૂંટણી પંચની કામગીરી સામે સવાલોશહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ તંત્ર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, વોર્ડ નં. 8 સહિત અન્ય વોર્ડમાં પણ ભાજપના ઉમેદવારોએ સોગંદનામામાં ગંભીર ભૂલો કરી છે. વારંવાર લેખિત વાંધા ઉઠાવવા છતાં ચૂંટણી પંચ આ બાબતોની નોંધ લેતું નથી, જે તંત્રના પક્ષપાતી વલણ તરફ નિર્દેશ કરે છે.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
ચંદ્રુમાણામાં શ્રી નાથબાઈ માતાની રમેલ યોજાઈ:ચાવડા પરિવારોએ ચૈત્રી ભક્તિ કરી, શ્રદ્ધાળુઓ ઉમટ્યા
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામના દરબારવાસમાં આવેલા શ્રી નાથબાઈ માતાના મંદિરે ચૈત્ર માસ નિમિત્તે ગુરુવારે રાત્રે માતાજીની રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમેલ ચાવડા પરિવારો દ્વારા યોજાઈ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ, બહેનો અને બાળકો શ્રદ્ધાપૂર્વક ઉપસ્થિત રહી માતાજીની વંદના કરી હતી. આ પ્રસંગનું મુખ્ય યજમાનપદ રાજસ્થાનના નૈનાબા અર્જુનસિંહ રાઠોડે સંભાળ્યું હતું, જેઓ મૂળ ચંદ્રુમાણા ગામના વતની બાબુજી ચાવડાની દીકરી છે અને હાલ ગાંધીનગર પાસેના રતનપુર ગામે રહે છે. શ્રી નાથબાઈ માતાના ઉપાસકો જેવા કે સનાજી દરબાર, કંબોઈના મોહનસિંહ સોલંકી, કાલરીના વનરાજસિંહ સોલંકી, મનુજી દરબાર, સુજલસિંહ વિક્રમસિંહ ચાવડા, હાર્દિકભાઈ દેસાઈ અને ભોગીલાલ પ્રજાપતિ સહિત અન્ય શક્તિ ઉપાસકોએ ગાદી પરથી દૈવી શક્તિનું આવાહન કર્યું હતું. તેમણે સૌને સુખ-શાંતિ અને માતાજીની કૃપા પ્રાપ્ત થાય તેવા આશીર્વાદ આપ્યા હતા. આ ધાર્મિક પ્રસંગે નરસંગભાઈ ચાવડા, ઉદાજી દરબાર, નરસંગજી દરબાર, ભુરાજી દરબાર, ગલાબજી દરબાર, જગુજી દરબાર, પમુજી દરબાર, રણજીતસિંહ દરબાર જેવા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજસ્થાન અને ગાંધીનગરથી આવેલા મહેમાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ પણ શ્રી નાથબાઈ માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
વિજાપુર પંથકમાં 17 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવી તરછોડી દેવાના ચકચારી કેસમાં મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને 25 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સરકારી વકીલ પરેશકુમાર કે. દવેની ધારદાર દલીલો અને DNA રિપોર્ટના પુરાવાને ગ્રાહ્ય રાખી કોર્ટે ભોગ બનનાર સગીરા અને તેના બાળક માટે આર્થિક વળતર સહિત મહત્વનો આદેશ આપ્યો છે. સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતુંઆરોપી કૌશિકસિંહ મકવાણાએ સગીરાને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. સગીરા ગર્ભવતી બન્યા બાદ તેણે બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ તે સમયે આરોપીએ સગીરા અને નવજાત બાળક બંનેને તરછોડી દીધા હતાં. DNA ટેસ્ટ કરવામાં આવ્યો હતોઆ મામલે કાયદેસરની કાર્યવાહી દરમિયાન આરોપીની ઓળખ અને પિતૃત્વ નક્કી કરવા માટે DNA ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં સાબિત થયું હતું કે આરોપી કૌશિકસિંહ જ તે બાળકનો જૈવિક પિતા છે. આરોપીને 25 વર્ષની કેદ અને રૂ 88,000નો દંડ ફટકાર્યો કોર્ટે આ કેસને ગંભીર ગણીને આરોપીને 25 વર્ષની કેદ અને રૂ 88,000 નો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત ભોગ બનનાર સગીરાને રૂ 75,000 અને નિર્દોષ બાળકને રૂ 3 લાખ નું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. કોર્ટે ખાસ તાકીદ કરી છે કે બાળક જ્યાં સુધી પુખ્ત વયનું ન થાય ત્યાં સુધી વળતરની આ રકમ ફિક્સ ડિપોઝિટ માં રાખવી. પિતાની મિલકતમાં વારસા હક્ક આપવાનો આદેશ કર્યોઆ ચુકાદામાં સૌથી મહત્વની બાબત એ રહી કે, DNA રિપોર્ટના આધારે આરોપી બાળકના પિતા તરીકે સાબિત થયો હોવાથી કોર્ટે વિશિષ્ટ સંજોગોને આધીન બાળકને પિતાની મિલકતમાં વારસા હક્ક આપવાનો પણ આદેશ કર્યો છે. ન્યાયતંત્રના આ કડક વલણથી સમાજમાં ગંભીર ગુના આચરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
વોરાબજારમાં સોનીની દુકાનમાં ચોરી:3 અજાણ્યા શખ્સો દુકાનના તાળા તોડી રૂ. 10,000ની રોકડ લઈ ફરાર
ભાવનગર શહેરના વ્યસ્ત ગણાતા વોરાબજાર વિસ્તારમાં આવેલી એક સોનીની દુકાનને ગત રાત્રિએ તસ્કરોએ નિશાન બનાવી હતી. મોઢે રૂમાલ બાંધીને આવેલા ત્રણ અજાણ્યા શખ્સો દુકાનના તાળા તોડી અંદર પ્રવેશ્યા હતા અને ટેબલના કાઉન્ટરમાં રાખેલા અંદાજે રૂ. 10,000ની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે ભોગ બનનાર વેપારીએ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. ચોરીની ઘટનાની વિગતઆંબાવાડી વિસ્તારમાં રહેતા અને વોરાબજારની દેસાઈ શેરીમાં સ્થિત નાણાંવટી ચેમ્બરમાં સોના-ચાંદીના દાગીનાનો વ્યવસાય કરતા જમનાદાસ રામજીભાઈ સોનીની દુકાનમાં આ બનાવ બન્યો હતો. રાત્રિના સમયે હથિયારો સાથે આવેલા ત્રણ શખ્સોએ સૌ પ્રથમ દુકાનની બહાર લાગેલા સીસીટીવી કેમેરાની તોડફોડ કરી હતી. ત્યારબાદ શટરના તાળા તોડી દુકાનમાં પ્રવેશી રોકડ રકમ ચોરી તેઓ હવેલી તરફ ભાગી ગયા હતા. સીસીટીવીમાં કેદ થઈ ઘટનાતસ્કરોએ વેપારીની દુકાનના કેમેરા તોડી પાડ્યા હોવા છતાં, તેમની તમામ હિલચાલ સામેની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ફૂટેજમાં ત્રણ શખ્સો મોઢે રૂમાલ બાંધીને ચોરી કરતા સ્પષ્ટ દેખાય છે. પોલીસ તપાસસવારે વેપારી દુકાને પહોંચતા ચોરીની જાણ થઈ હતી, જેના પગલે તેમણે તાત્કાલિક ગંગાજળિયા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
સાગબારામાં LCBએ 1.47 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે બુટલેગર ઝડપાયો
નર્મદા જિલ્લાના સાગબારા વિસ્તારમાં સ્થાનિક ગુના શોધક શાખા (LCB) એ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. LCB ટીમે ગોડદા ગામના ત્રણ રસ્તા પાસેથી નંબર પ્લેટ વગરની એક્ટિવા પર દારૂ લઈ જઈ રહેલા એક બુટલેગરને પકડી પાડ્યો હતો. જપ્ત કરાયેલા દારૂ અને એક્ટિવા સહિત કુલ રૂ. 1,47,456 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. રાજ્યમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, સંદીપ સિંહ અને નર્મદા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલની સૂચનાઓ અનુસાર, ખાસ કરીને પ્રોહિબિશનના કાયદાના કડક અમલ પર ભાર મૂકવામાં આવ્યો છે. ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે સુનિશ્ચિત કરવા માટે અસામાજિક પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે. નર્મદા જિલ્લો ગુજરાતની સરહદ પર આવેલો હોવાથી, અહીંથી રાજ્યમાં વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો થતા રહે છે. દારૂના દુષણને ડામવા અને નેસ્તનાબૂદ કરવાના હેતુથી પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ચૌધરી, LCB, નર્મદાના માર્ગદર્શન હેઠળ LCB ટીમ સાગબારા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. પેટ્રોલિંગ દરમિયાન, LCBના એ.એસ.આઈ. મોતીરામ સંજયભાઈ અને ચંદન સંપતને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, દેવમોગરાનો નરેશ ફુલસિંગ વસાવા ખડકાપાણી (મહારાષ્ટ્ર) તરફથી નંબર પ્લેટ વગરની એક્ટિવા ગાડીમાં દારૂ ભરીને આવી રહ્યો હતો. આ બાતમીના આધારે, ગોડદા ગામના ત્રણ રસ્તા પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી. પોલીસે શંકાસ્પદ એક્ટિવાને કોર્ડન કરીને તપાસ કરતા, તેના આગળ અને પાછળ મૂકેલા બે મોટા કોથળામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, જેની કિંમત રૂ. 1,47,456 છે, તે જપ્ત કર્યો હતો અને આરોપી નરેશ ફુલસિંગ વસાવા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતની રાજનીતિમાં અત્યારે ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારતીય જનતા પાર્ટીએ તેના બે મુખ્ય કાર્યકર્તાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. મહત્વની વાત એ છે કે, આ બંને કાર્યકર્તાઓ હવે ભાજપમાં નથી રહ્યા પરંતુ 'આમ આદમી પાર્ટી'ના સત્તાવાર ઉમેદવાર બની ચૂક્યા છે. પક્ષ વિરુદ્ધ જઈને અન્ય પક્ષમાંથી ચૂંટણી લડવાનું નક્કી કરતા, સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે આ બંનેને પક્ષના પ્રાથમિક અને સક્રિય સભ્યપદ સહિત તમામ જવાબદારીઓ પરથી આગામી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. શર્મિષ્ઠાબેન વરીયા અને ધ્રુમિલ પંચાલ AAPમાં જોડાયાભાજપ દ્વારા જે બે નેતાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે તેમાં સુરત ભાજપના પાયાના કાર્યકરોનો સમાવેશ થાય છે. જેમાં વોર્ડ નંબર એકના શહેર કારોબારી સભ્ય શર્મિષ્ઠાબેન વરીયા અને વોર્ડ નંબર 30 ના યુવા મોરચાના મંત્રી ધ્રુમિલ પંચાલ સામેલ છે. આ બંને નેતાઓ લાંબા સમયથી કેસરીયા બ્રિગેડ સાથે જોડાયેલા હતા, પરંતુ ટિકિટની વહેંચણીમાં અન્યાય થયાની લાગણી અનુભવતા તેઓએ રાતોરાત પક્ષ પલટો કરી વિરોધી છાવણીમાં આશરો લીધો છે. વોર્ડ નં. 1 અને 29માંથી AAPના બેનર હેઠળ ચૂંટણી લડશેઆ કાર્યવાહી પાછળનું મુખ્ય કારણ એ છે કે ધ્રુમિલ પંચાલ હાલમાં ભાજપ છોડીને આમ આદમી પાર્ટીના વોર્ડ નં. 29ના ઉમેદવાર બની ગયા છે. તેવી જ રીતે, શર્મિષ્ઠાબેન વરિયા પણ વોર્ડ નં. 1થી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. પક્ષ વિરુદ્ધ ગતિવિધિ કરવા અને શિસ્તનો ભંગ કરવા બદલ સુરત ભાજપ શહેર પ્રમુખ પરેશ પટેલ દ્વારા આ બંનેના સસ્પેન્શન ઓર્ડર પર મહોર મારવામાં આવી છે. ભાજપમાંથી ટિકિટ ન મળતા 'આપ'માં જઈને મૂરતિયા બન્યાભારતીય જનતા પાર્ટીમાં આંતરિક રીતે ટિકિટ માટે મોટો ધસારો હતો. જ્યારે પક્ષ દ્વારા આ બંને કાર્યકર્તાઓને ઉમેદવારી તક ન આપવામાં આવી, ત્યારે તેઓએ બગાવતના સૂર છેડ્યા હતા. પક્ષ પ્રત્યેની વફાદારી બાજુ પર મૂકીને બંને નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા અને તરત જ ત્યાંથી ઉમેદવારી પણ મેળવી લીધી હતી. ભાજપે આ વર્તનને પક્ષ સાથેની ગદ્દારી ગણીને સજાના ભાગરૂપે તેમને પક્ષની બહારનો રસ્તો બતાવ્યો છે. શર્મિષ્ઠાબેને રાજીનામું આપ્યું, પણ ધ્રુમિલે હજુ પદ નહોતું છોડ્યુંઘટનાક્રમ મુજબ, ઉમેદવારી મળ્યા બાદ 10 એપ્રિલના રોજ શર્મિષ્ઠા બેને ભારતીય જનતા પાર્ટીમાંથી વિધિવત રીતે રાજીનામું આપી દીધું હતું. જોકે, અન્ય કાર્યકર્તા અને હાલ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ધ્રુમિલ પંચાલ અંગે ભાજપના સૂત્રોએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ધ્રુમિલે ઉમેદવારી પત્ર ભરી દીધું હોવા છતાં અત્યાર સુધી ભાજપમાંથી ટેકનિકલી રાજીનામું આપ્યું નહોતું, જેને કારણે પક્ષે તેમને સસ્પેન્ડ કરવાની ફરજ પડી હતી. ધ્રુમિલ પંચાલની જગ્યાએ 'ધ્રુમિલ પટેલ' લખવામાં આવ્યુંજોકે, ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સસ્પેન્શન લેટર બહાર પાડવામાં આવ્યો હતો, તેમાં પણ ભૂલ જોવા મળી હતી. લેટરમાં ધ્રુમિલ પંચાલની જગ્યાએ 'ધ્રુમિલ પટેલ' લખવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વોર્ડ નં. 30ના ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના મંત્રી હવે આમ આદમી પાર્ટી તરફથી વોર્ડ નં. 29ના ઉમેદવાર બની ગયા છે. ભાજપ શહેર પ્રમુખ પરેશ પટેલનું કડક વલણસુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ બંને નેતાઓ પક્ષમાં મુખ્ય પદ પર હોવા છતાં તેઓએ પક્ષ વિરોધી ગતિવિધિઓ કરી છે. તેઓ અત્યારે અન્ય રાજકીય પક્ષના સત્તાવાર ઉમેદવાર હોવાથી તેમને ભાજપમાં રાખવાનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી. આ નિર્ણયથી ભાજપે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પક્ષમાં રહીને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર કોઈપણ વ્યક્તિને સાંખી લેવામાં આવશે નહીં.
સુરત શહેરમાં સામાન્ય જનતાના જીવ સાથે રમત રમનાર વધુ એક નકલી ડોક્ટર સામે કાયદાનો સકંજો કસાયો છે. મેડિકલ ક્ષેત્રે કોઈ પણ માન્ય લાયકાત કે ડિગ્રી ન હોવા છતાં, માત્ર કાગળના ટુકડાઓ પર બોગસ ડિગ્રી છપાવીને લોકોની સારવાર કરતા શખ્સને કોર્ટે કડક સજા ફટકારી છે. ડીંડોલી વિસ્તારમાં 'ઉંટ વૈદ' બનીને બેઠેલા આ શખ્સ સામે વર્ષો પહેલા નોંધાયેલી ફરિયાદમાં અંતે ન્યાય મળ્યો છે અને અદાલતે તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. નકલી ડિગ્રીના જોરે ચલાવતો હતો ક્લિનિકસુરતના ડીંડોલી વિસ્તારમાં 'ગુરુકૃપા' નામે ક્લિનિક ચલાવતો દેવનારાયણ સૂર્યબલી પટેલ અસલમાં કોઈ ડોક્ટર નહોતો. મૂળ ઉત્તર પ્રદેશનો અને હાલ લિંબાયત વિસ્તારમાં રહેતો આ આરોપી લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને પ્રેક્ટિસ કરતો હતો. તપાસમાં સામે આવ્યું છે કે, તેની પાસે ડોક્ટર તરીકેની કોઈ માન્ય શૈક્ષણિક લાયકાત નહોતી. માત્ર પૈસા કમાવવાની લાલચે તેણે ગેરકાયદેસર રીતે બિહારની બી.આર. આંબેડકર યુનિવર્સિટીની બોગસ ડિગ્રીઓ મેળવી હતી. આ ડિગ્રીઓ તદ્દન નકલી હોવા છતાં તેને સાચી તરીકે ખપાવીને તે સુરતમાં દવાખાનું ખોલી બેઠો હતો. આરોપી દેવનારાયણની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તેણે માત્ર બોગસ ડિગ્રી જ નહોતી બનાવી, પરંતુ તે દસ્તાવેજોના આધારે બિહાર રાજ્ય હોમિયોપેથિક ચિકિત્સા બોર્ડમાં રજીસ્ટ્રેશન પણ કરાવી લીધું હતું. આ રજીસ્ટ્રેશનના કાગળ બતાવીને તે સુરતના નિર્દોષ લોકોને છેતરતો હતો. વર્ષ 2008માં જ્યારે લિંબાયત પોલીસને આ મામલે શંકા ગઈ, ત્યારે ઊંડી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેની ડિગ્રીઓ બોગસ હોવાનું સાબિત થતાં ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે ત્રણ વર્ષની કેદ અને દંડનો હુકમ કર્યોલાંબી કાનૂની લડત બાદ, સુરતની અદાલતે તમામ પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાને રાખીને દેવનારાયણ પટેલને દોષિત જાહેર કર્યો છે. અદાલતે નોંધ્યું હતું કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર તત્વો સામે કડક કાર્યવાહી જરૂરી છે. આથી, ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 465, 468 અને 471 હેઠળ આરોપીને ત્રણ વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત, કોર્ટે તેના પર આર્થિક દંડ પણ લાદ્યો છે, જે સમાજમાં એક દાખલો બેસાડે છે. દંડ ન ભરે તો વધુ જેલ ભોગવવી પડશેસજાની વિગતો મુજબ કોર્ટે આરોપીને 1,000નો દંડ પણ ફટકાર્યો છે. જો આરોપી આ દંડની રકમ ભરવામાં નિષ્ફળ જશે તો તેણે વધુ 30 દિવસની સાદી કેદ ભોગવવી પડશે એવો સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો છે.
મહેસાણા મહાનગરપાલિકાની પ્રથમ વખત યોજાઈ રહેલી ઐતિહાસિક ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની મુદત પૂરી થતા જ હવે જંગનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જિલ્લામાં કુલ 85 બેઠકો બિનહરીફ જાહેર થયા બાદ હવે 382 બેઠકો માટે રાજકીય પક્ષો વચ્ચે સીધો મુકાબલો શરૂ થયો છે. જોકે ચૂંટણી પ્રચારમાં નીકળેલા ઉમેદવારોને મતદારોના આકરા સવાલો અને સ્થાનિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સમસ્યાઓના ગંજ વચ્ચે ચૂંટણી પ્રચારમહેસાણા શહેરના વોર્ડ 12 માં ખાસ કરીને રોડ, ગટર અને પાણી જેવી પાયાની સુવિધાઓના અભાવે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા સવા વર્ષથી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી હોવા છતાં લોકપ્રતિનિધિઓના અભાવે વહીવટી પ્રક્રિયામાં વિલંબ થતા અનેક કામો અટવાયેલા છે. વોર્ડ નંબર 12 માં કસબા સહિતના વિસ્તારોમાં ગટર લાઈનની કામગીરી બાદ બિસ્માર બનેલા રસ્તાઓ મુખ્ય મુદ્દો બન્યા છે. સ્થાનિકોની માંગ છે કે ચૂંટણી પહેલા જ આ સમસ્યાઓનો કાયમી નિકાલ કરવામાં આવે. ભાજપનો વિકાસનો દાવો અને આશા પટેલની ખાતરીવોર્ડ નંબર 12 ના ભાજપના ઉમેદવાર આશા પટેલે જણાવ્યું હતું કે ગટર લાઈનની કામગીરી 20 મીટર ઊંડી હોવાથી વરસાદી સીઝન અને જમીન બેસવાની રાહ જોવી અનિવાર્ય હતી. જનતાની માંગને ધ્યાને રાખીને તેમણે ખાતરી આપી છે કે કાલ સાંજ સુધીમાં રસ્તા પર એક લેયર બનાવી દેવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું કે મહાનગરપાલિકાનું બજેટ 1000 કરોડથી વધુ હોવાથી હવે વિકાસના કામોમાં તેજી આવશે અને ભાજપ તમામ પડતર પ્રશ્નો ઉકેલવા કટિબદ્ધ છે. વિપક્ષ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે સત્તા પર ભાજપ જ આવશે, વિરોધીઓને સપના જોવાનો અધિકાર છે. કોંગ્રેસનો પરિવર્તનનો સૂર અને રણજીત સિંહનો જનસંપર્કબીજી તરફ વોર્ડ નંબર 2માં કોંગ્રેસના ઉમેદવાર અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રણજીત સિંહ મેદાનમાં છે. પ્રચાર દરમિયાન તેઓ સામાન્ય જનતા સાથે હળવા મળવા માટે ચાની ટપરી પર ચર્ચાઓ કરતા જોવા મળ્યા હતા. રણજીત સિંહે જણાવ્યું કે ડોર-ટુ-ડોર પ્રચાર દરમિયાન અનેક સોસાયટીઓમાં રસ્તા અને વીજળીના થાંભલા જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે મોંઘવારી અને અધૂરા વિકાસ કામોથી ત્રસ્ત જનતા આ વખતે કોંગ્રેસના પેનલને વિજયી બનાવવા માટે મક્કમ છે અને લોકો તરફથી પરિવર્તનનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મહાનગરપાલિકાના આ જંગમાં એક તરફ ભાજપ બજેટ અને મોટા પ્રોજેક્ટ્સના નામે મતો માંગી રહ્યું છે.તો બીજી તરફ કોંગ્રેસ સ્થાનિક રહીશોની નારાજગીને મતમાં બદલવા માટે પ્રયાસ કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે મહેસાણાની જનતા કોના વચનો પર વિશ્વાસ મૂકે છે.
નશાના કારોબાર સામે સખ્ત કાર્યવાહી:રાજ્યભરમાં PIT NDPS હેઠળ વધુ 5 રીઢા આરોપીઓ જેલમાં ધકેલાયા
ગુજરાતને નશામુક્ત બનાવવાના સંકલ્પ સાથે રાજ્ય પોલીસે 'ઝીરો ટોલરન્સ' નીતિ હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી છે. નાર્કોટિક્સના કાળા કારોબારમાં સંકળાયેલા વધુ 5 રીઢા આરોપીઓને 'પીટ એનડીપીએસ' (PIT NDPS) એક્ટ હેઠળ અટકાયત કરી રાજ્યની વિવિધ જેલોમાં ધકેલી દેવામાં આવ્યા છે. ડ્રગ્સ માફિયાઓ માટે પોલીસનું અમોઘ શસ્ત્રજેમ અસામાજિક તત્વો સામે PASA લાગુ કરવામાં આવે છે, તેમ ડ્રગ્સના સોદાગરોને ડામવા માટે PIT NDPS (Prevention of Illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act) નો ઉપયોગ કરવામાં આવે છે. આ કાયદા હેઠળ આરોપીઓને પ્રિવેન્ટિવ ડિટેન્શનમાં રાખવામાં આવે છે જેથી તેઓ ફરીથી નશીલા પદાર્થોના વેપાર, ખરીદી-વેચાણ અથવા પરિવહનમાં જોડાઈ ન શકે. ANTFએ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યાDGP-CID ક્રાઇમ ડૉ. કે.એલ.એન. રાવના માર્ગદર્શન હેઠળ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) દ્વારા પાંચ જિલ્લાઓમાં ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. જેમાં બાબુભાઈ નીનામા (ઉં.વ. 49 રહે. ભિલોડા, અરવલ્લી), ઈશ્વર ઉર્ફે હેંડલ સલાટ (ઉં.વ. 28 રહે. પાલનપુર, બનાસકાંઠા), મનોજગીરી ગોસ્વામી (ઉં.વ. 45 રહે. વાંસદા, નવસારી), વાહીદ પંજા (ઉં.વ. 50 રહે. જૂનાગઢ), ઇમરાન બેલીમ (ઉં.વ. 32 રહે. રાજકોટ)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસનું આક્રમક અભિયાનગુજરાત સરકાર અને પોલીસ તંત્રના આંકડાઓ દર્શાવે છે કે નશીલા પદાર્થો સામેની લડાઈ તેજ બની છે. ગુજરાતને ‘નશામુક્ત’ બનાવવાના સંકલ્પ સાથે સરકાર અને પોલીસ તંત્ર દ્વારા આવનારા સમયમાં પણ આ પ્રકારની કડક કામગીરી યથાવત રાખવામાં આવશે.
મહાદેવનગરમાં રહેણાંક મકાન પર પોલીસની રેડ:30 હજારનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો, બુટલેગર ફરાર
ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશનના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે આખલોલ જકાતનાકા પાસે આવેલ મહાદેવનગરમાં દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જોકે, પોલીસ રેડ દરમિયાન આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. ઇંગ્લિશ દારૂની કુલ 67 બોટલો મળી આવી બોરતળાવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે મહાદેવનગરમાં રહેતો કૃષ્ણદેવ ઉર્ફે કિશન મનુભાઈ ગોહિલ પોતાના ઘરે દારૂનો જથ્થો છુપાવી રાખી વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે કૃષ્ણદેવના મકાનમાં રેડ કરી હતી. તપાસ દરમિયાન મકાનના રૂમમાંથી અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની કુલ 67 બોટલો મળી આવી હતી, જેમાં: પોલીસના દરોડા દરમિયાન બુટલેગર કૃષ્ણદેવ ઉર્ફે કિશન હાજર મળી આવ્યો ન હતો. આથી પોલીસે દારૂનો જથ્થો કબજે કરી, ફરાર આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
પંચમહાલ ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 17 કાર્યકરોને 5 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ શિસ્તભંગના મામલે કડક વલણ અપનાવી આ કાર્યવાહી કરી છે. આ કાર્યકરોને પક્ષ દ્વારા ટિકિટ ન ફાળવવામાં આવતા તેઓ નારાજ થયા હતા. નારાજગીના કારણે કેટલાક કાર્યકરોએ અન્ય પક્ષ (કોંગ્રેસ) માંથી અથવા અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે કેટલાક કાર્યકરો પક્ષમાં રહીને જ પ્રતિસ્પર્ધી ઉમેદવારોને મદદ કરતા હોવાનું પક્ષના ધ્યાન પર આવ્યું હતું. સસ્પેન્ડ કરાયેલા કુલ 17 કાર્યકરોમાં કાલોલના 6, મોરવા હડફના 4, ઘોઘંબાના 4 અને ગોધરા નગરપાલિકાના 3 કાર્યકરોનો સમાવેશ થાય છે. આ તમામ કાર્યકરોએ પક્ષના આદેશનું ઉલ્લંઘન કર્યું હતું. ભાજપના પ્રદેશ નેતૃત્વ અને જિલ્લા સંગઠન દ્વારા આ મામલે ગંભીર નોંધ લેવામાં આવી હતી. પક્ષમાં શિસ્ત જાળવવા અને બગાવત કરનારાઓને કડક સંદેશ આપવાના હેતુથી આ તમામ 17 વ્યક્તિઓને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી 5 વર્ષ માટે દૂર કરવાનો નિર્ણય લેવાયો છે.
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની આગામી 2 એપ્રિલના રોજ યોજવામાં આવશે ત્યારે વડોદરા શહેર ભાજપ દ્વારા મહાનગરપાલિકાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો. શહેરીજનોને હાલમાં સૌથી વધુ મુશ્કેલી પાણીની પડી રહી છે જેથી ચૂંટણી ઢંઢેરામાં સૌથી પહેલા પાણીની સમસ્યા હાલ કરવા માટેનો વાયદો કરાયો છે. આગામી દિવસમાં વસ્તી મુજબ 200થી 250 MLD પાણી વધુ મળતું થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં નવી ટેક્નોલોજીથી રોડ બનાવવામાં આવશેશહેર અધ્યક્ષ ડો. જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં નિતનવા રોડ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ રોડને નવી ટેક્નોલોજીની મદદથી બનાવવામાં આવશે જેથી રોડ ઉપર રોડનું લેયર આવે તો અન્ય વિસ્તાર નીચાણમાં ન જતો રહે. આ ઉપરાંત નવા બ્રિજની કામગીરી પણ હાલ ચાલી રહી છે. આગામી દિવસોમાં તે કામગીરીને પણ આગળ ધપાવવામાં આવશે. વિશ્વામિત્રી નદીની વહન ક્ષમતા વધીચૂંટણી ઢંઢેરો જાહેર કરી રહેલા શહેર પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે, ગત વર્ષે વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી કરવામાં આવી તેના કારણે નદીની વાહનક્ષમતામાં વધારો થયો છે. 1500 કયૂમેક પાણી વધુ વહી શકે તેવી વ્યવસ્થા થઇ ચુકી છે. શહેરને પુરમાંથી બચાવવા માટેનું આ મહત્વપૂર્ણ પગલું હતું. 2 લાખથી વધુ વૃક્ષો વાવવાનું આયોજનવડોદરા શહેરમાં પર્યાવરણની જાળવણી માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં વિવિધ અર્બન ફોરેસ્ટ ઉભા કરવા ઉપરાંત લિનિયર પાર્ક બનાવવાનું પણ આયોજન છે. શહેરમાં ઇલેક્ટ્રિક બસ મારફતે ટ્રાન્સપોર્ટેશન શરુ થશે આ ઉપરાંત શહેરમાં વિવિધ સ્થળોએ 2 લાખથી વધુ વૃક્ષો વાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ચૂંટણી ઢંઢેરાની મોટી મોટી જાહેરાત
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવતાં આમ આદમી પાર્ટી દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આજે AAP દ્વારા ‘બૂથ મેનેજમેન્ટ ટ્રેનિંગ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે હાજરી આપી અને ઉમેદવારો તથા કાર્યકર્તાઓને ચૂંટણી માટેની વ્યૂહરચના સમજાવી હતી. તેમની સાથે મધ્ય ઝોન કાર્યકારી પ્રમુખ ડૉ. જ્વેલ વસરા, અમદાવાદ શહેર પ્રમુખ વિજય પટેલ, દિલ્હી ધારાસભ્ય સંજીવ ઝા, ઉપપ્રમુખ ગૌરી દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગોપાલ રાયે જણાવ્યું કે, આમ આદમી પાર્ટી દરેક બૂથ પર મજબૂત સ્થિતિમાં છે અને તમામ કાર્યકર્તાઓ એકજૂટ થઈને ચૂંટણીમાં ઉતરશે. તેમણે ભાજપના લાંબા સમયથી ચાલી રહેલા શાસનને શોષણનું શાસન ગણાવીને તેને હરાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. તેમણે કાર્યકર્તાઓમાં જોશ અને આત્મવિશ્વાસ ભરીને કહ્યું કે અમદાવાદમાં પરિવર્તન લાવવા માટે પાર્ટી સંપૂર્ણ રીતે સજ્જ છે અને આ ચૂંટણીમાં નવો ઇતિહાસ રચવામાં આવશે. AAPના ઉમેદવારો અને બૂથ પ્રમુખોને માર્ગદર્શન આપતાં તેમણે જીત માટે સંપૂર્ણ તાકાતથી કામ કરવાની અપીલ કરી હતી.
આજ રોજ ભાટિયા ખેતીવાડી ઉત્પાદન સમિતિ (APMC) ખાતે ખેડૂતોના વાહનોમાં રિફ્લેક્ટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કલ્યાણપુર પી.આઈ. આર.એન. હાથલિયાની સૂચનાથી ટ્રાફિક ટીમ અને APMC ના આગેવાનો દ્વારા આ પહેલ કરવામાં આવી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય રાત્રિના સમયે થતા માર્ગ અકસ્માતોને અટકાવવાનો છે. ખાસ કરીને ગામડાઓમાંથી માલસામાન ભરીને APMC આવતા ખેડૂતોના વાહનોને લક્ષ્ય બનાવવામાં આવ્યા હતા. આ વાહનો પર રિફ્લેક્ટર લગાવવાથી તેમની દૃશ્યતા વધશે અને અકસ્માતનું જોખમ ઘટશે.
IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા.’
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રક્રિયામાં સત્તાધારી પક્ષ દ્વારા કરવામાં આવતી કથિત ગેરરીતિઓ અને દબાણની રાજનીતિ સામે આજે જૂનાગઢના ઐતિહાસિક ગાંધી ચોક ખાતે કોંગ્રેસ દ્વારા 'લોકશાહી બચાવો' અભિયાન હેઠળ ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ ધરણા પર બેસી ભાજપ સરકારની નીતિઓ સામે આકરા પ્રહારો કર્યા હતા. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં લોકશાહીની જાહેરમાં હત્યા થઈ રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉમેદવારી ફોર્મ ભરવાથી લઈને ફોર્મ ખેંચવાની પ્રક્રિયા સુધી સત્તાધારી પક્ષ દ્વારા સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, ભાજપના ઈશારે સરકારી અધિકારીઓ પક્ષપાતી વલણ અપનાવી રહ્યા છે અને કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવા-ધમકાવવામાં આવી રહ્યા છે. ધરણા દરમિયાન કોંગ્રેસ નેતાઓએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે, લોકશાહીના મૂલ્યોને નેવે મૂકીને ગુંડા તત્વો દ્વારા ઉમેદવારોને ધમકીઓ આપી ફોર્મ પાછા ખેંચાવવા માટે મજબૂર કરવામાં આવ્યા છે. અમિત પટેલે સવાલ ઉઠાવ્યો હતો કે, જો ભારતીય જનતા પાર્ટી પાસે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધીની સત્તા હોય, તો તેમને વિપક્ષના ઉમેદવારોથી આટલો બધો ડર શેનો છે? ભાજપ દ્વારા ઊભા કરવામાં આવેલા ડરના માહોલથી સામાન્ય નાગરિકો હેરાન-પરેશાન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ, આજે સમગ્ર ગુજરાતના જિલ્લા મથકો પર ધરણાના કાર્યક્રમો યોજાયા છે. જૂનાગઢમાં પણ કોંગ્રેસના કાર્યકરોએ હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે ભાજપની ‘તાનાશાહી’ સામે રોષ ઠાલવ્યો હતો. નેતાઓએ ભારપૂર્વક કહ્યું કે, આ ગાંધી અને સરદારનું ગુજરાત છે, અહીં લોકશાહીના મૂલ્યોનું જતન કરવું એ દરેક નાગરિકની નૈતિક જવાબદારી છે. કોંગ્રેસના આ ધરણા પ્રદર્શનને પગલે ગાંધી ચોક વિસ્તારમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસના આગેવાનોએ અંતમાં ચીમકી ઉચ્ચારી હતી કે જો લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલ સુમન નિવાસ આવાસમાં ગત રાત્રે બાળકોના રમત-ગમતના ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. માત્ર 'દડો કેમ વાગ્યો' તે મુદ્દે થયેલી બોલાચાલીમાં એક પરિવારે બીજા પરિવાર પર લાકડાના બેટ અને ફટકા વડે ખૂની હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાના દૃશ્યો સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે, જેમાં આરોપીઓ બેફામ બનીને હુમલો કરતા દેખાઈ રહ્યા છે. બાળકોની રમતમાંથી સર્જાયું મહાભારતપ્રાપ્ત વિગતો અનુસાર, ગત 15 એપ્રિલના રોજ રાત્રે 10 વાગ્યાની આસપાસ સુમન નિવાસ આવાસના ગાર્ડનમાં બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા. આ દરમિયાન ફરિયાદી જીજ્ઞેશભાઈ ઓડના ભત્રીજા આરવ સાથે આરોપી રત્નકલાકાર શુભમ ભાલીયાને દડો વાગવા બાબતે તકરાર થઈ હતી. બાળકો વચ્ચેની વાત જ્યારે વડીલો સુધી પહોંચી ત્યારે મામલો થાળે પાડવાને બદલે હિંસામાં પરિણમ્યો હતો. રત્નકલાકાર પિતા-પુત્ર અને પત્નીએ મળીને બેટથી હુમલો કર્યોફરિયાદી જીજ્ઞેશભાઈ જ્યારે આરોપીને સમજાવવા ગયા ત્યારે આરોપી રત્નકલાકાર અનિલ ભાલીયા, તેનો પુત્ર શુભમ અને પત્ની લાકડાનું બેટ લઈને નીચે ધસી આવ્યા હતા. આરોપીઓએ ફરિયાદી જીજ્ઞેશભાઈને ગંદી ગાળો આપી માથાના ભાગે બેટનો ફટકો મારી દીધો હતો. જ્યારે તેમના ભાઈ સુનીલભાઈ વચ્ચે છોડાવવા પડ્યા તો આરોપી શુભમે તેમના માથામાં પણ લાકડાનો ફટકો મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં બંને ભાઈઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. ‘આજે તો બચી ગયા, હવે જીવતા નહીં મૂકીએ’સોસાયટીના લોકો એકઠા થઈ જતા આરોપીઓ ત્યાંથી ભાગ્યા હતા પરંતુ, જતી વખતે પણ તેઓએ આતંક મચાવ્યો હતો. આરોપી અનિલ ભાલીયાએ જાહેરમાં ધમકી આપી હતી કે, આજે તો બચી ગયા છો, ફરી હાથમાં આવશો તો જીવતા નહીં મૂકીએ. આ ધમકીના કારણે સોસાયટીના અન્ય રહીશોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસે આરોપીઓનું જાહેરમાં રી-કન્સ્ટ્રક્શન કરાવ્યુંઘટનાની ગંભીરતા જોઈને ઉત્રાણ પોલીસનો કાફલો હરકતમાં આવ્યો હતો. પોલીસે મુખ્ય આરોપી અનિલ ભાલીયા, શુભમ ભાલીયા અને એક મહિલાની ધરપકડ કરી છે. આરોપીઓનો ડર દૂર કરવા માટે પોલીસે તેઓને ઘટનાસ્થળે લઈ જઈ સીન રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસે આરોપીઓ વિરુદ્ધ B.N.S.S.ની કલમ 118(1), 118(2) (ગંભીર ઈજા પહોંચાડવી), 296(B), 351(3) (જાનથી મારી નાખવાની ધમકી) અને જી.પી. એક્ટ 135 મુજબ ગુનો નોંધી જેલભેગા કર્યા છે.
મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં મતદાન જાગૃતિ માટે એક આકર્ષક રંગોળી તૈયાર કરવામાં આવી છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-2026 માં મતદાનની ટકાવારી વધારવા અને પ્રત્યેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા SVEEP કાર્યક્રમ અંતર્ગત આ પહેલ કરાઈ છે. જિલ્લા વહીવટી તંત્રના કર્મયોગીઓ દ્વારા તૈયાર કરાયેલી આ રંગોળીમાં મારો મત, મારો અધિકારનું પ્રેરણાદાયક સૂત્ર કંડારવામાં આવ્યું છે. આકર્ષક રંગો અને ડિઝાઇન દ્વારા લોકશાહીના આ મહાપર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા અને અચૂક મતદાન કરવા માટેનો સકારાત્મક સંદેશ કચેરીની મુલાકાતે આવતા અરજદારો, નાગરિકો અને અધિકારી-કર્મચારીઓને આપવામાં આવ્યો હતો. મહીસાગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અર્પિત સાગરે આ મતદાન જાગૃતિ રંગોળીની વિશેષ મુલાકાત લીધી હતી. કલેક્ટરશ્રીએ વહીવટી તંત્રના સ્ટાફની આ કલાત્મક અને પ્રેરણાદાયી કામગીરીની સરાહના કરી હતી.તેમણે જણાવ્યું હતું કે, કળા અને રંગો લોકોના હૃદય અને માનસ સુધી પહોંચવાનું એક સબળ માધ્યમ છે. સરકારી કચેરીમાં આવતા નાગરિકો જ્યારે આવા સંદેશાઓ જોશે, ત્યારે તેઓ ચોક્કસપણે મતદાન પ્રત્યે વધુ જાગૃત બનશે. મહીસાગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના તમામ પ્રબુદ્ધ નાગરિકો અને ખાસ કરીને યુવા મતદારોને અપીલ કરવામાં આવી છે કે, લોકશાહીના આ ઉત્સવમાં કોઈપણ જાતના પ્રલોભન કે ભય વિના, સ્વૈચ્છિક અને નૈતિક મતદાન કરી પોતાની રાષ્ટ્રીય ફરજ અદા કરે.
બોટાદ નગરપાલિકાની ચૂંટણી નજીક આવતા શહેરમાં રાજકીય ગરમાવો વધ્યો છે. આ માહોલ વચ્ચે કોંગ્રેસ પક્ષ દ્વારા આજે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બોટાદના તમામ ૧૧ વોર્ડના કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરો એકત્ર થયા હતા. તેમણે શહેરમાં એક ભવ્ય બાઈક રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી પાળીયાદ રોડથી શરૂ થઈને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. રેલી દરમિયાન કોંગ્રેસના ઉમેદવારોએ નાગરિકોને પક્ષને સમર્થન આપવા અને મતદાન કરવા અપીલ કરી હતી. આ બાઈક રેલી દ્વારા કોંગ્રેસે ચૂંટણી પૂર્વે પોતાનું શક્તિ પ્રદર્શન કરી રાજકીય માહોલ ગરમાવ્યો છે. બોટાદ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રવિણ ડેરવાળીયાએ આ બાઈક રેલી અંગે માહિતી આપી હતી.
રાજ્ય સરકાર દ્વારા અનાથ, ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો ખાનગી શાળાઓમાં ધોરણ 1 માં પ્રવેશ મેળવી ધોરણ 8 સુધી મફત શિક્ષણ મેળવી શકે તે માટે રાઇટ ટૂ એજ્યુકેશનનો કાયદો છે. જે અંતર્ગત ઓનલાઇન ફોર્મ ભરવાની 17 એપ્રિલના છેલ્લી તારીખ છે. આ વખતે RTE એડમિશનમાં રહેઠાણના પુરાવા તરીકે રાશનકાર્ડ માન્ય રાખવામાં આવ્યું નથી. આ ઉપરાંત આંગણવાડીના બાળકોને પ્રાયોરિટી કેટેગરીમાં પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં RTE ની 6062 સીટ સામે 20,333 ફોર્મ ભરાયા છે. કુલ જગ્યા સામે ત્રણ ગણાથી વધુ ફોર્મ ભરાયા છે. જેથી એવું ચોક્કસ કહી શકાય કે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ મળતા નથી અને ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ માટે વિદ્યાર્થીઓની કતાર લાગે છે. વાલી કૃણાલ રાઠોડ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 14 માં ધારાસભ્ય રમેશ ટીલાળાનું કાર્યાલય આવેલું છે ત્યાં RTEનું ફોર્મ ભરવા માટે આવ્યા છીએ. હું લક્ષ્મીવાડી વિસ્તારમાંથી આવું છું. હું પ્રાઇવેટ જોબ કરું છું. મેં ધોળકિયા, સરસ્વતી અને ગુરુકુળ સ્કૂલ પસંદ કરી છે. સરકારી યોજનાનો ફાયદો થાય છે પરંતુ રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ એડમિશનમાં કોઈ વખત વારો આવે તો આવે બાકી ન પણ આવે. મારે બાળક છે તેના RTE માં એડમિશન માટે અહીં ઓનલાઇન ફોર્મ ભરવા માટે આવ્યો છું. જ્યારે અન્ય વાલી ભાવેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, હું કોઠારીયા નાકા વિસ્તારમાં રહું છું. હું RTE નું ફોર્મ ભરવા અહીં ધારાસભ્યની ઓફિસે આવ્યો છું. અહીં ખુબ સરસ રીતે અને ઝડપથી ઓનલાઇન ફોર્મ ભરી દેવામાં આવ્યું. મેં મારા દીકરાના RTE માં એડમિશન માટે શુભમ, જી. ટી. શેઠ અને ગુરુકુળ સ્કૂલ પસંદ કરી છે. મારા બાળકોને નર્સરી પંચનાથ અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં કરાવ્યું હતું અને હવે ધોરણ 1 માં RTE હેઠળ અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં બાળકને અભ્યાસ કરાવવા માગું છું. ધારાસભ્ય રમેશ ટીલાળાની ઓફિસમાં કાર્યલય સંભાળતા અભિષેક વાડોદરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની RTE ની જે યોજના છે તે અંતર્ગત વાલીઓને પોતાના બાળકને ખાનગી સ્કૂલમાં ફ્રી એજ્યુકેશન માટેના ઓનલાઈન ફોર્મ ભરવા હોય તો તે નિઃશુલ્ક ભરી આપવામાં આવે છે. અહીં અત્યારસુધીમાં 60 થી વધુ વાલીઓને આ ફોર્મ વિનામૂલ્યે ભરી આપ્યા છે. આજે 17 એપ્રિલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે વાલીઓનો ધસારો વધુ છે. રાજકોટ શહેરમાં RTE હેઠળ ખાનગી શાળાઓમાં ધોરણ 1 માં પ્રવેશપાત્ર 4043 સીટ છે. જેની સામે 17 એપ્રિલના બપોર સુધીમાં 12051 એપ્લિકેશન આવી ચૂકી હતી. જેમાંથી 8951 અરજીઓ મંજૂર થઈ છે. જ્યારે 654 અરજી રિજેક્ટ તો 1916 અરજી અલગ અલગ કારણોસર કેન્સલ કરવામાં આવી છે. જ્યારે 530 અરજીઓ પેન્ડિંગ છે. આ ઉપરાંત જિલ્લામાં જિલ્લા પંચાયત હસ્તકની ખાનગી શાળાઓમાં 2019 સીટ સામે 8282 અરજીઓ આવી છે. 17 એપ્રિલના રાત્રે 12:00 વાગ્યા સુધી વાલીઓ પોતાના બાળકના આરટીઇમાં એડમિશન માટે ઓનલાઇન ફોર્મ ભરી શકશે. રાજ્યના નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના ઉપસચિવ અમિત સંગાડા દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે,રાશનકાર્ડ ઓળખના દસ્તાવેજ કે રહેઠાણના પુરાવા તરીકે માન્ય રાખી શકાશે નહીં. જેથી RTE હેઠળ એડમિશન વખતે ઓળખ કે રહેઠાણના પુરાવા તરીકે રાશનકાર્ડ માન્ય ગણવામાં આવ્યું નથી. આ ઉપરાંત રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોને ધોરણ 1 માં RTE માં એડમિશનમાં પ્રાયોરિટી આપવામાં આવી નથી. ગત વર્ષે પ્રયોરીટી કેટેગરીમાં આંગણવાડીના બાળકો 9 માં ક્રમે હતા. જે હવે પાછળ ધકેલાઈને 12 માં ક્રમે આવી ગયા છે.
મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે 'જિલ્લા રોડ સેફ્ટી કમિટી'ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં માર્ગ અકસ્માતો નિવારવા, ટ્રાફિક વ્યવસ્થાપન અને નાગરિકોની સુરક્ષાને લગતા વિવિધ મુદ્દાઓ પર સઘન સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે બેઠકમાં ખાસ ભાર મૂકતા જણાવ્યું હતું કે, સ્કૂલે જતા બાળકોની સલામતી એ વહીવટીતંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. જે કોઈ રિક્ષાચાલકો ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડીને કે જીવના જોખમે રિક્ષા હંકારીને બાળકોને શાળાએ લઈ જતા જણાશે, તો તેઓની સામે જરાય દાક્ષિણ્ય દાખવ્યા વિના કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, લુણાવાડા શહેરની વધતી જતી ટ્રાફિકની સમસ્યાના સુદ્રઢ અને કાયમી નિવારણ માટે ઉપસ્થિત અધિકારીઓને 'એક્શન મોડ'માં આવીને ત્વરિત કામગીરી કરવા માટે કલેક્ટરશ્રીએ સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં ડી.વાય.એસ.પી., સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) અધિકારી, ચીફ ઓફિસર સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે જ વડોદરા શહેર કોંગ્રેસમાં જુથબંધી સામે આવી છે. વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રીની એક ઓડિય ક્લિપ વાયરલ થઈ છે. જેમાં તેઓ વડોદરા કોંગ્રેસના પ્રભારી બિમલ શાહ સાથે વાત કરે છે અને તેમની અને મહારાષ્ટીયન સમાજની અવગણના થઈ હોવાની વાત કરે છે. આ સાથે જ કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવત મનમાની અને દાદાગીરી કરતા હોવાની વાત પણ કરે છે. અપક્ષ ઉમેદવારના ટેકેદારને સ્ટેજ પર બેસાડે છે અને મહામંત્રી તરીકે તેમની અવગણના થાય છે એવી ઓડિયો ક્લિપે વડોદરાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. કોંગ્રેસ નેતાને પોતાનો ફાયદો દેખાતા પ્રોટોકોલની કઈ પડી નથીવડોદરા શહેર કોંગ્રેસના મહામંત્રી વિજય જાધવે દિવ્ય ભાસ્કર સાથેની જણાવ્યું હતું કે, આ સિસ્ટમ અને પ્રોટોકોલની વાત છે. અમારા નેતા રાહુલ ગાંધી સિસ્ટમને ફોલો કરી રહ્યા છે. વડોદરા શહેરમાં અમારા લડાયક નેતા ઋત્વિજ જોષીના નેતૃત્વમાં સારુ વાતાવરણ ઉભુ થયું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન અમારા વોર્ડમાં સભા હતી. જેમાં વિધાનસભામાં વિપક્ષના નેતા તુષાર ચૌધરી હાજર રહ્યા હતા. કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતને પોતાનો ફાયદો જ દેખાય છે, એ વ્યક્તિને સિસ્ટમ કે પ્રોટોકોલની કશી પડી નથી. જેનાથી મેં નારાજગી વ્યક્ત કરી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, દુઃખની વાત એ છે કે, પુષ્પાબેન મેકવાને અપક્ષ ઉમેદવારી કરી છે.તેમના ટેકેદાર મનોજ સિંધલને સ્ટેજ પર બોલાવીને હાર પહેરાવે છે અને અમારી અવગણના કરે છે. જેથી મેં બિમલ શાહને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, આ અમે નહીં ચલાવી લઇએ. હું પણ 2010થી કોંગ્રેસમાં સક્રિય છું અને આખી પેનલ અગાઉ ચૂંટાઇ લાવ્યો હતો. હું મહારાષ્ટ્ર સમાજનો પ્રતિનિધી પણ છું. ‘અમને પૈસાની જરુર નથી પણ સન્માન તો મળવું જોઈએ ને’તેઓએ ઉમેર્યું હતું કે, મેં રાહુલ ગાંધીને મેઇલ પણ કર્યો છે કે, આ વ્યક્તિ(નરેન્દ્ર રાવત) પોતાની મનમાની ચલાવે છે. આ વખતની ચૂંટણીમાં હરીશ પટેલની જગ્યાએ અમી રાવતને ટિકીટ આપવાની જરૂર કેમ પડી. મર્દાનીને ટિકીટ આપી તેવી વાતો થાય છે, તો શું મર્દો ઓછા છે અહી. આ વ્યક્તિ સામ, દામ કરીને ટિકીટો લઇ આવે છે અને પોતાની દાદાગીરી ચલાવે છે. આ સભા નરેન્દ્ર રાવતની સભા નહોતી. આ કોંગ્રેસ પક્ષની હતી. અમે કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા હોય, અમે સિનિયર લિડર હોય, ત્યારે અમારું સ્ટેજ પર માન સન્માન જળવાવું જોઇએ. અમે પૈસા માંગતા નથી. અમે સન્માન માંગીએ છીએ. અમારી અવગણના કરી છે. મહારાષ્ટ્રીયન સમાજનું હું પ્રતિનિધિત્વ કરું છું. અમારા સમાજની પણ અવગણના થઈ છે. ‘પૈસા ખાઈને વચેટિયો ટિકિટનું વિતરણ કરે છે’તેઓએ કહ્યું કે, રાહુલ ગાંધીને હું કહેવા માંગુ છું કે, તમે ગુજરાતમાં ભાજપને હરાવવાની વાત કરો છો અને એ તમારું સ્વપ્ન છે અને આ વચેટીયો પૈસા ખાઇને સિટોનું વિતરણ કરે છે, એમને પણ સસ્પેન્ડ કરો. આ ચૂંટણીમાં વોર્ડ નં 1માં એક બેઠક ગુમાવશે એવું દેખાઈ રહ્યું છે. સેન્સ પ્રક્રિયા લેવા આવે છે તે શું અભણ છે. હું તો કહું છું કે, જેને પણ એમને ટિકીટ આપી છે, તેમને પણ સસ્પેન્ડ કરો. મને આ વિષયમાં સસ્પેન્ડ કરે તો મને કોઇ ફરક પડતો નથી. હું રાજીનામુ આપવાનો પણ નથી. નરેન્દ્ર રાવત આખા વોર્ડ નં-1 ડિસ્ટર્બ કર્યો છે. હરીશ પટેલની ટિકીટ કપાઇ તેનાથી આખુ છાણી ગામ નારાજ છે. નરેન્દ્ર રાવત છાણી ગામમાં જશે તો લોકો તેને મારશે. ‘દરેક વ્યક્તિને સ્ટેજ પર બેસાડવાનું હંમેશા શક્ય હોતું નથી’વડોદરા શહેર કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીનો માહોલ છે. ભાજપે જે રીતે ઉમેદવારોના ફોર્મ ખેંચાવીને બિનહરીફ બનવાના અને સત્તા આંચકી લેવાના પ્રયાસો કર્યા છે, તેની સામે અમારા ધરણાના કાર્યક્રમો ચાલુ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આવી કોઈ અવગણના થઈ નથી અને ભવિષ્યમાં થશે પણ નહીં અને રહી વાત હોદ્દાની તો વડોદરા શહેરમાં અમારી પાસે ઘણા હોદ્દેદારો છે. દરેક વ્યક્તિને સ્ટેજ પર બેસાડવાનું હંમેશા શક્ય હોતું નથી. તેઓ કોંગ્રેસ પાર્ટીના જ હોદ્દેદાર છે અને આટલી મોટી નોંધ લેવી પડે તેવું કોઈ ગંભીર કામ થયું નથી. ચૂંટણી પહેલા ઘણા લોકો પાર્ટીમાં આવતા હોય છે અને અમે તેમનું સ્વાગત કરીએ છીએ. પક્ષમાં 1 ટકા પણ ખેંચતાણ નથી. અમારી પેનલ જંગી બહુમતીથી જીતવાની છે. કોઈ પણ પ્રકારની 'લેતી-દેતી'ની વાત પાયાવિહોણી છે. ‘નરેન્દ્રભાઈની કોઈ સીધી જવાબદારી નહોતી’વડોદરાના કોંગ્રેસના પ્રભારી બિમલ શાહે જણાવ્યું હતું કે, વિજયભાઈએ મને જણાવ્યું હતું કે, જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા, ત્યારે તેમને સ્ટેજ પર બેસાડવામાં આવ્યા નહોતા. બાકીના બધા જ લોકોને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હતું, તો તેમને કેમ નહીં? એવો તેમનો પ્રશ્ન હતો. મેં તેમને કહ્યું કે ભાઈ, આ બાબતે મને અત્યારે પૂરતી જાણકારી નથી. હું ચોક્કસપણે તપાસ કરીશ કે ત્યાં ખરેખર શું બન્યું હતું. જે કોઈ જવાબદાર વ્યક્તિઓને આ બાબતે મારે કહેવાનું થશે, તેમને હું સ્પષ્ટ કહી દઈશ કે બીજી વખત આવી ભૂલ ન થાય. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આપણા જવાબદાર કાર્યકર્તાઓને સ્ટેજ પર સન્માનજનક સ્થાન મળે. હું માનું છું કે આ એક સામૂહિક જવાબદારી છે. પરંતુ, પક્ષ તરફથી ફરી ક્યારેય આવી ભૂલ ન થાય તેની અમે પૂરેપૂરી તકેદારી રાખીશું.
સંસ્કારી નગરી વડોદરામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન પરશુરામજીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આગામી 19 એપ્રિલ 2026ના રોજ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ચિરંજીવી ભગવાન પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે શહેરમાં એક વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટા)ના માર્ગદર્શન હેઠળ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને સમસ્ત ગુજરાત બ્રહ્મ શક્તિ જાગૃતિ મંચ દ્વારા આ ભવ્ય શોભાયાત્રા યોજાશે. આ શોભાયાત્રાનો પ્રારંભ પૂર્વ વિસ્તારમાં આવેલા સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડથી લઈ અમદાવાદી પોળ ખાતે આવેલા શ્રી પંચમુખી મહાદેવ મંદિર સુધી યોજાશે. આ શોભાયાત્રાની એક ખાસ વિશેષતા એ છે કે, આયુર્વેદિક ચાર રસ્તાથી લઈને માંડવી ગેટ સુધીના માર્ગ પર મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે, જે વડોદરાની સાંસ્કૃતિક એકતાનો પરિચય કરાવશે. આ ભવ્ય શોભાયાત્રામાં ભગવાન પરશુરામજીની એક વિશાળ અને ભવ્ય મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બનશે. શહેરના હાર્દ સમાન લહેરીપુરા ગેટ પાસે કાશીના વિદ્વાન પંડિતો દ્વારા ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને શોભાયાત્રાનો સમય સાંજે 5 થી રાત્રે 9 કલાક સુધી રાખવામાં આવ્યો છે, જેથી વધુમાં વધુ નગરજનો જોડાઈ શકે. ધારાસભ્ય શૈલેષ મહેતાએ વડોદરા શહેર અને જિલ્લાના તમામ હિંદુઓ અને સનાતન પ્રેમીઓને આ ભવ્ય શોભાયાત્રામાં જોડાવવા અને મહાઆરતીનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. આ વર્ષે પણ બાઇક રેલી સાથે ભવ્ય શોભાયાત્રા યોજાશે. સાથે માંડવી ખાતે ભવ્ય ઇમારતને નુકસાન ન પોહચે તે માટે અહીંયા કોઈ પણ પ્રકારની મ્યુઝિક સિસ્ટમ વગાડવામાં આવશે નહીં.
જૂનાગઢ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ઝાંઝરડા વિસ્તાર માટે જે મુસદ્દારૂપ નગર રચના યોજના એટલે કે ટીપી સ્કીમ નંબર 5 જાહેર કરવામાં આવી છે, તેણે સ્થાનિક ખેડૂતો અને જમીન માલિકોમાં ભારે રોષ જગાડ્યો છે. ઝાંઝરડા ખાતે યોજાયેલી એક વિશાળ બેઠકમાં જમીન માલિકોએ એકસૂરે આ દરખાસ્તને પાયાવિહોણી અને શોષણકારી ગણાવી તેનો સામૂહિક વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોનું માનવું છે કે આ સ્કીમ વિકાસના નામે માત્ર ખેડૂતોનું આર્થિક શોષણ કરવા માટે લાવવામાં આવી છે. ખેડૂત અગ્રણી વીનુ અમીપરાએ સરકારી તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સરકારી અધિકારીઓ ખેડૂતોના ભોળપણ અને કાયદાકીય અજ્ઞાનતાનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. આ ટીપી સ્કીમ હેઠળ ખેડૂતોની માલિકીની 40 ટકા જમીન કોઈપણ પ્રકારનું વળતર ચૂકવ્યા વિના 'મફત'માં પડાવી લેવાનો કારસો રચવામાં આવ્યો છે. જે ખેડૂતો પેઢીઓથી પોતાની જમીન પર નભે છે, તેમની પાસેથી આટલી મોટી માત્રામાં જમીન છીનવી લેવી તે અન્યાયની પરાકાષ્ઠા છે. ખેડૂતો માટે ચિંતાનો વિષય માત્ર જમીન ગુમાવવાનો જ નથી, પરંતુ તેના પર લાદવામાં આવતો આર્થિક બોજ પણ છે. યોજનાની જોગવાઈઓ મુજબ, જમીન છીનવી લીધા બાદ પણ ખેડૂતો પર અંદાજે 900 કરોડ રૂપિયાનો જંગી 'ડેવલપમેન્ટ ચાર્જ' એટલે કે ઈન્ક્રીમેન્ટ વેલ્યુ વસૂલવાની તૈયારી કરવામાં આવી છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે એક તરફ તેઓ પોતાની કિંમતી જમીન ગુમાવે અને ઉપરથી સરકારને કરોડો રૂપિયા ચૂકવે તે કોઈ કાળે સ્વીકારી શકાય તેમ નથી. આ સ્થિતિ ખેડૂતો માટે પડતા પર પાટું સમાન સાબિત થઈ રહી છે. યોજનામાં રહેલી વિસંગતતાઓ અંગે વાત કરતા અગ્રણીઓએ ગરીબ આવાસ યોજનાના મુદ્દે પણ સવાલો ઉઠાવ્યા હતા. ટીપી સ્કીમમાં આર્થિક રીતે પછાત લોકો (EWS) માટે મકાનો બાંધવા માટે 1 લાખ ચોરસ મીટર જેટલી વિશાળ જગ્યા અનામત રાખવામાં આવી છે. ખેડૂતોએ પ્રશ્ન કર્યો હતો કે માત્ર એક જ ટીપી સ્કીમમાં આટલી મોટી જગ્યામાં કેટલા ગરીબોના મકાન બનશે અને તે બાંધવા માટેના કરોડો રૂપિયા ક્યાંથી આવશે. આ અંગે ગુજરાત સરકારની કોઈ પૂર્વ મંજૂરી લેવામાં આવી છે કે નહીં તેની પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, જેનાથી આખી યોજના શંકાના દાયરામાં આવી ગઈ છે. વધુમાં ખેડૂત નેતાઓએ કાયદાકીય પાસાઓ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે નિયમો મુજબ જો ગુજરાત સરકાર હુકમ કરે તો જ આવી યોજનાઓ બનાવી શકાય છે. ભૂતકાળમાં પણ આ પ્રકારની યોજનાઓ સરકારે રદ કરી હોવા છતાં, જૂડા દ્વારા ફરીથી આ જ યોજના કેમ લાવવામાં આવી રહી છે તે એક મોટો પ્રશ્ન છે. અધિકારીઓ કાયદાની પ્રક્રિયાનું ખોટું અર્થઘટન કરી રહ્યા છે અને ખેડૂતોની જમીનો માત્ર વેચાણ કરવાના હેતુથી કાપવામાં આવી રહી હોવાનો ગંભીર આક્ષેપ બેઠકમાં કરવામાં આવ્યો હતો. ઝાંઝરડા વિસ્તારના ખેડૂતોએ પોતાની સ્પષ્ટ માંગણી રજૂ કરતા કહ્યું છે કે જો સરકારને જાહેર સુવિધાઓ, રસ્તાઓ કે અન્ય વિકાસકામો માટે જમીનની જરૂર હોય, તો તે જમીનના પૂરેપૂરા બજારભાવ મુજબ પૈસા ખેડૂતોને ચૂકવવા જોઈએ અથવા તેના માટે સરકારે અલગથી ગ્રાન્ટ ફાળવવી જોઈએ. ખેડૂતોની કિંમતી જમીન મફતમાં લેવાની અને ઉપરથી ટેક્સ વસૂલવાની આ નીતિ સામે લોકોમાં ભારે અસંતોષ છે. આગામી દિવસોમાં જો આ ટીપી સ્કીમ પાછી ખેંચવામાં નહીં આવે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. આ વિવાદને કારણે હાલ ઝાંઝરડા રોડના મકાન માલિકો અને જમીનધારકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.
નવસારી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ચોરીના ચાર અલગ-અલગ બનાવો નોંધાયા છે. તસ્કરોએ ઘર અને ઓફિસના તાળા તોડી કુલ ₹૧૧ લાખથી વધુની મત્તાની ચોરી કરી છે. આ ઘટનાઓ નવસારી રૂરલ, ટાઉન અને ચીખલી પોલીસ મથકની હદમાં બની છે, જેના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા થયા છે. પ્રથમ બનાવ નવસારી રૂરલ પોલીસ મથકે નોંધાયો છે. ઉગત ગામના નવું ફળીયામાં રહેતા નિવૃત રઝાકભાઇ ઇબ્રાહીમ કુરેશીના બંધ ઘરના દરવાજાનો નકુચો તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. તેઓએ લોખંડ અને લાકડાના કબાટના લોક તોડી સોના-ચાંદીના દાગીના (કિ.રૂ. ૮.૭૧ લાખ) અને રોકડા ૧ લાખ મળી કુલ ₹૯,૭૧,૦૦૦ની મત્તાની ચોરી કરી હતી. પી.આઈ. વી.જી. ભરવાડ આ મામલે તપાસ ચલાવી રહ્યા છે. બીજો બનાવ નવસારી ટાઉન વિસ્તારમાં શાંતાદેવી પાસે આવેલી સીતા રેસીડેન્સીમાં બન્યો છે. મનિષભાઇ દેવજીભાઇ ચૌધરીના બંધ ફ્લેટના દરવાજાનો નકુચો તોડી તસ્કરોએ તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ ₹૫૧,૭૦૦ની ચોરી કરી હતી. આ ચોરી ધોળે દિવસે થઈ હોવાનું જાણવા મળ્યું છે. ત્રીજી ઘટના જુનાથાણા વિસ્તારમાં આવેલા પુષ્પાંજલી એપાર્ટમેન્ટમાં 'ન્યુ આઇડીયા એડવટાઇઝીંગ' નામની ઓફિસમાં બની હતી. ફરિયાદી વિશાલ જયેશકુમાર શાહની ઓફિસના શટર અને દરવાજાના તાળા તોડી ચોરોએ પ્રવેશ કર્યો હતો. ઓફિસના ટેબલના ખાનામાંથી ચાંદીના સિક્કા અને રોકડ મળી કુલ ₹૬૪,૮૦૦ની મત્તાની ચોરી થઈ હતી. ચોથો બનાવ ચીખલીની એમ.આર. દેસાઈ કોલેજમાં નોંધાયો છે. F.Y.B.A.ની પરીક્ષા આપવા ગયેલા ચિરાગભાઇ કમલેશભાઇ ગાંવિત નામના વિદ્યાર્થીનો મોબાઈલ ચોરાયો હતો. પરીક્ષા દરમિયાન બેગ રૂમની બહાર મુકતા તેમાંથી ₹૧૭,૯૯૯ની કિંમતનો OPPO કંપનીનો સ્માર્ટફોન કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો. આ તમામ બનાવોમાં પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તસ્કરોને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જિલ્લામાં વધતી જતી ચોરીની ઘટનાઓને પગલે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
જોડિયાના દરિયામાં ડોલ્ફિનનો વીડિયો વાયરલ:દરિયાકિનારે ડોલ્ફિનના દ્રશ્યો પ્રવાસીઓ માટે આકર્ષણ
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના દરિયામાં ડોલ્ફિન માછલીઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ડોલ્ફિન દરિયાના પાણીમાં કૂદાકૂદ કરતી અને મસ્તી કરતી જોવા મળે છે, જે કુદરતી સૌંદર્યનો અદભૂત નજારો રજૂ કરે છે. સામાન્ય રીતે ડોલ્ફિન ઊંડા દરિયામાં જોવા મળતી હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી જામનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેમની અવરજવર વધી છે. વાયરલ થયેલા વીડિયોમાં ડોલ્ફિનનું એક ઝૂંડ દરિયાના મોજાં સાથે કિલ્લોલ કરતું સ્પષ્ટપણે દેખાય છે. સ્થાનિક લોકો અને માછીમારો દ્વારા આ વીડિયો જોડિયાના દરિયાકિનારાનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. દરિયાઈ સૃષ્ટિની આ ઝલક જોઈને પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વીડિયો વાયરલ થતા જ લોકો તેને જોડિયાના પ્રવાસન અને દરિયાઈ જીવસૃષ્ટિની સમૃદ્ધિ તરીકે જોઈ રહ્યા છે. જોકે, આ વીડિયો ચોક્કસ કયા સમયનો છે તેની સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે, પરંતુ જોડિયા પંથકમાં આ નજારો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે સાઠંબા આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હેલિકોપ્ટરમાં શુક્રવારે અચાનક ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. બાયડ હેલિપેડ પર ઉડાન ભરતા પહેલા જ હેલિકોપ્ટરમાં ક્ષતિ જણાતા પાયલોટે સુરક્ષાના કારણોસર ઉડાન ભરવાનો ઇનકાર કર્યો હતો. આ સ્થિતિમાં મુખ્યમંત્રીને તેમનો સાબરકાંઠાનો પ્રવાસ રોડ માર્ગે પૂર્ણ કરવાની ફરજ પડી હતી.સભા સંબોધી હિંમતનગર જતા હતાસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે સ્ટાર પ્રચારકો દ્વારા સભાઓનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રચાર અભિયાન હેઠળ ભૂપેન્દ્ર પટેલ નવનિર્મિત સાઠંબા તાલુકા મથકે 'વિકાસ સંકલ્પ સભા' સંબોધવા આવ્યા હતા. તેઓ સવારે હેલિકોપ્ટર મારફતે સમયસર બાયડ પહોંચ્યા હતા અને ત્યાંના નિર્ધારિત કાર્યક્રમો પૂર્ણ કર્યા હતા. ટેક્નિકલ ટીમ કાર્યરત બાયડમાં સભા પૂર્ણ કર્યા બાદ જ્યારે તેઓ આગળના કાર્યક્રમ માટે સાબરકાંઠા જવા રવાના થવાના હતા, ત્યારે હેલિપેડ પર હેલિકોપ્ટરમાં ક્ષતિ હોવાનું જણાયું હતું. ટેક્નિકલ ખામીની ગંભીરતા જોતા પાયલોટે હેલિકોપ્ટર ઉડાડવા અસમર્થતા દર્શાવી હતી. છેવટે સમયનો બચાવ કરવા મુખ્યમંત્રીએ બાય રોડ સાબરકાંઠા જવાનો નિર્ણય લીધો હતો. હાલમાં ટેક્નિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને હેલિકોપ્ટરના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જૂનાગઢ શહેરની ભાગોળે આવેલા ડુંગરપુર વિસ્તારમાં આજે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં એક 40 વર્ષીય યુવાનની અજાણ્યા શખ્સો દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ડુંગરપુર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા રફિકશા કરીમશા રફાઈ (ઉંમર આશરે 40 વર્ષ) નામના યુવાનની હત્યા કરવામાં આવી છે. હુમલાખોરોએ રફિકશા પર લાકડી અને ધોકા જેવા હથિયારો વડે આડેધડ પ્રહાર કર્યા હતા. ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. હત્યાની ગંભીરતાને જોતા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા (SP) સહિત તાલુકા પોલીસની ટીમ તાત્કાલિક અસરથી ડુંગરપુર પહોંચી હતી. પોલીસે મૃતકની લાશનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ સાથે જ મૃતકના પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હત્યા કર્યા બાદ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા છે. હાલમાં આ હત્યા કયા કારણોસર કરવામાં આવી છે તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. અંગત અદાવત કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાલ તો તાલુકા પોલીસ દ્વારા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી છે. જૂનાગઢના શાંત વિસ્તાર ગણાતા ડુંગરપુરમાં ધોળા દિવસે થયેલી આ હત્યાએ કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે.
અરવલ્લી જિલ્લાના સાઠંબા ખાતે આયોજિત 'વિકાસ સંકલ્પ સભા'માં મોડાસા APMCના ચેરમેન પંકજ એન. પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆત કરી હતી. તેમણે ગંજ બજારની બહાર થતી ખેતી જણસોની ખરીદી પર 'શેષ' ફરજિયાત કરવા માંગ કરી હતી, જેને રાજ્યની APMCના અસ્તિત્વનો સવાલ ગણાવ્યો હતો. પંકજ પટેલે મુખ્યમંત્રીને જણાવ્યું કે, હાલમાં કેન્દ્ર સરકારના નિર્ણય મુજબ રાજ્ય સરકારોએ અમલ કરવાનો હોય છે, પરંતુ ગુજરાતમાં અમુક છૂટછાટને કારણે ગંજ બજાર (માર્કેટ યાર્ડ)ની બહાર જે વેપારીઓ ખેતી જણસોની ખરીદી કરે છે, તેઓ શેષ (Cess) ભરતા નથી. આના પરિણામે રાજ્યની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ પોતાની હક્કની મોટી આવક ગુમાવી રહી છે. તેમણે ઉમેર્યું કે, ગંજ બહાર વેપાર કરતા વેપારીઓ પર શેષનું નિયંત્રણ ન હોવાથી APMCની આર્થિક સ્થિતિ કફોડી બની છે. જો આ જ પરિસ્થિતિ રહી તો રાજ્યના ગંજ બજારો માત્ર 'મરવાના વાંકે' જીવી રહ્યા હોય તેવી સાવ કફોડી અને દયનીય હાલતમાં આવી જશે. આ સંજોગોમાં ગુજરાત સરકારે ત્વરિત હસ્તક્ષેપ કરવો જોઈએ. પંકજભાઈ પટેલે એક ખાસ પરિપત્ર બહાર પાડીને એવો નિયમ લાગુ કરવાની માંગ કરી કે ગંજની બહાર પણ જો ખેતી જણસોનો વેપાર થાય, તો તેની નિર્ધારિત શેષ જે-તે માર્કેટ યાર્ડમાં જમા કરાવવી ફરજિયાત બને. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યના APMC તંત્રને સ્પર્શતા આ સંવેદનશીલ મુદ્દાને ધ્યાનપૂર્વક સાંભળ્યો હતો. તેમણે સહકારી આગેવાનોની રજૂઆતને પગલે આ બાબતે હકારાત્મક અભિગમ દાખવી યોગ્ય તપાસ કરાવીને ઘટતું કરવા માટે આશ્વાસન આપ્યું હતું. આ સભામાં મોટી સંખ્યામાં સહકારી કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
જૂનાગઢ મહાનગરપાલિકાને અસ્તિત્વમાં આવ્યાને 24 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં, હજુ સુધી અહીં 'વિજિલન્સ બ્રાન્ચ' કાર્યરત ન હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ મામલે સત્તાધારી પક્ષ અને વહીવટી તંત્ર વચ્ચે સંકલનનો અભાવ હોય તેમ વિરોધાભાસી નિવેદનો સામે આવ્યા છે. વિજિલન્સ બ્રાન્ચની ગેરહાજરીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોવાના ગંભીર આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરને વિજિલન્સ બ્રાન્ચની સ્થિતિ અંગે પૂરતી જાણકારી ન હોય તેમ તેમણે જણાવ્યું હતું કે અગાઉ મહાનગરપાલિકામાં વિજિલન્સ બ્રાન્ચ કાર્યરત હતી અને તેમાં અધિકારીઓ પણ હતા, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ જગ્યાઓ ખાલી પડી છે. તેમણે ઉમેર્યું કે વહીવટમાં પારદર્શિતા લાવવા માટે આ બ્રાન્ચ હોવી અત્યંત જરૂરી છે. બીજી તરફ, મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, જૂનાગઢ મહાનગરપાલિકા જ્યારે નગરપાલિકામાંથી અસ્તિત્વમાં આવી ત્યારથી અત્યાર સુધી તેના સેટઅપમાં વિજિલન્સ બ્રાન્ચ માટે કોઈ અલગ વ્યવસ્થા કે વિભાગ ક્યારેય કાર્યરત રહ્યો જ નથી. જ્યારે પણ રાજ્ય તકેદારી આયોગ રિપોર્ટ માંગે ત્યારે તેના માટે માત્ર એક 'નોડલ ઓફિસર'ની નિમણૂક કરવામાં આવે છે. અગાઉ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જ્યારે કડિયાવાડ વિસ્તારમાં સ્થાનિકોની રજૂઆતને પગલે મુલાકાતે પહોંચ્યા હતા, ત્યારે વહીવટી તંત્રની પોલ ખુલી હતી. સ્થાનિકોએ ગટરના કામમાં નિયમો વિરુદ્ધ કામગીરી થઈ હોવાની ફરિયાદ કરી હતી. આ સમયે ચેરમેને ત્યાંના કોર્પોરેટર ચંદ્રિકાબેન રાખસીયાને પૂછતા તેમણે પણ સ્વીકાર્યું હતું કે, હા આ વાત સાચી છે અને કામ ખરેખર નિયમ વિરુદ્ધ થયું છે. આ ઘટના સાબિત કરે છે કે દેખરેખના અભાવે જમીની સ્તરે કામોની ગુણવત્તામાં ગંભીર બાંધછોડ થઈ રહી છે. વિપક્ષી નેતા લલિતભાઈ પરસાણાએ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, વર્ષ 2002 થી મહાનગરપાલિકા બની હોવા છતાં નિયમ મુજબ વિજિલન્સ વિભાગ રાખવામાં આવ્યો નથી. કરોડોની ગ્રાન્ટના સદુપયોગ માટે આ વિભાગ અનિવાર્ય છે. હાલમાં કોઈ કાયમી અધિકારીને બદલે એકાઉન્ટન્ટ કે ઓડિટરને તપાસ સોંપાય છે, જેમના દ્વારા નિષ્પક્ષ તપાસ શક્ય નથી. રસ્તાઓ બન્યાના થોડા જ સમયમાં તોડવા પડે છે તે ભ્રષ્ટાચારનો જીવંત પુરાવો છે. સ્થાનિક સ્તરે વિજિલન્સ ન હોવાથી વિપક્ષે ફરિયાદ કરવા છેક ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ સુધી ધક્કા ખાવા પડે છે, જેમાં સમયનો ખૂબ વ્યય થાય છે. પલ્લવીબેન ઠાકરે કહ્યું કે વિજિલન્સ અધિકારી હોય તો કોર્પોરેટરો સીધી ફરિયાદ કરી શકે અને એન્જિનિયરો પર નજર રાખી શકાય. તેમણે ખાતરી આપી છે કે તેઓ આગામી દિવસોમાં જૂનાગઢ કોર્પોરેશનમાં વિજિલન્સ અધિકારીની પોસ્ટ ફરીથી ક્રિએટ કરવા અને વહેલી તકે નિમણૂક કરવા માટે માંગણી કરશે. હાલની પરિસ્થિતિ અંગે કમિશનર તેજસ પરમારે જણાવ્યું કે, કામોની ગુણવત્તા માટે 'થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન' અને ટેસ્ટિંગ રિપોર્ટ્સનો સહારો લેવામાં આવે છે. કમિશનર પોતે રોડ-રસ્તા અને પાણીની લાઇનના કામોની રૂબરૂ મુલાકાત લે છે અને દર મંગળવારે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજે છે. કોર્પોરેટરો પણ સજાગ રહીને વોર્ડના કામો પર નજર રાખી રહ્યા છે. જોકે, વિપક્ષ અને જનતાની માંગ છે કે પારદર્શિતા માટે કાયમી વિજિલન્સ વિભાગની સ્થાપના જ એકમાત્ર ઉકેલ છે.
ગુજરાતના સંવેદનશીલ દરિયાઈ સીમાની સુરક્ષા મજબૂત કરવાના ભાગરૂપે નવસારી જિલ્લાના 53 કિમી લાંબા દરિયાકાંઠા પર પોલીસ તંત્ર દ્વારા અભેદ કિલ્લેબંધી કરવામાં આવી છે. એટીએસ (ATS) અને કોસ્ટલ સિક્યુરિટીના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ શંકાસ્પદ હિલચાલ અને ડ્રગ્સની હેરાફેરી અટકાવવા માટે મરીન કમાન્ડો દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. 11 દિવસમાં બીજીવાર ફૂટ પેટ્રોલિંગ કરાયું છે. અગાઉ 6 એપ્રિલે પણ ઓપરેશન કરાયું હતું. વ્યૂહાત્મક આયોજન અને સુરક્ષા વ્યવસ્થારાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિઓ, ડ્રગ્સની દાણચોરી અને ડ્રોન જેવી શંકાસ્પદ ગતિવિધિઓ પર લગામ કસવા માટે એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટીના ADGP અમિતકુમાર વિશ્વકર્મા, મરીન ટાસ્ક ફોર્સના DIG એ.એમ. મુનિયા અને SP એસ.જે. પરમાર દ્વારા વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. આ પ્લાનિંગ હેઠળ નવસારીના સમગ્ર દરિયાઈ વિસ્તારને 5થી 10 કિમીના સેક્ટરમાં વહેંચી દેવામાં આવ્યો છે, જ્યાં મરીન કમાન્ડોની વિવિધ ટીમો તૈનાત છે. ભાટગામથી કનાઈખાડી સુધી તપાસનો ધમધમાટ17 એપ્રિલ 2026ના રોજ ફિશ લેન્ડિંગ સેન્ટર તરીકે જાણીતા ભાટગામથી કનાઈખાડી સુધીના વિસ્તારમાં વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. નવસારી સેક્ટરના DySP આર.એચ. પટેલ અને PI યુ.જે. પટેલની આગેવાનીમાં મરીન કમાન્ડોએ કાર્યવાહી કરી હતી: નિરીક્ષણ: દરિયાકાંઠાની અવાવરુ અને શંકાસ્પદ જગ્યાઓનું બારીકાઈથી ચેકિંગ કરવામાં આવ્યું. પૂછપરછ: દરિયામાં અવરજવર કરતી શંકાસ્પદ બોટો અને વ્યક્તિઓની સઘન પૂછપરછ કરાઈ. વાહન ચેકિંગ: કાંઠા વિસ્તારમાં પાર્ક કરેલા શંકાસ્પદ વાહનોની પણ તપાસ હાથ ધરવામાં આવી. સતત મોનિટરિંગ અને પેટ્રોલિંગસુરક્ષા એજન્સીઓ છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં સતત નજર રાખી રહી છે. અગાઉ 6 એપ્રિલ 2026ના રોજ પણ ઓજલમાછીવાડ, કૃષ્ણપુર, રાણાભાઠા, ચોરમલાભાઠા અને મોવાસા જેવા દરિયાકાંઠાના ગામોમાં મરીન કમાન્ડોની 'હીટ ટીમો' દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. દરિયાઈ માર્ગે થતી નશાના કારોબારની હેરાફેરી અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે નવસારી પોલીસ અને મરીન ટાસ્ક ફોર્સ દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારનું ચેકિંગ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે.
ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોરબી જિલ્લા કમલમ કાર્યાલય ખાતે ભાજપના ઉમેદવારો અને પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, મોરબી જિલ્લા અને ગુજરાતના વિકાસને અવરોધનારા લોકોને આ ચૂંટણીમાં હરાવીને ઘરભેગા કરવાના છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પ્રસારના ભાગરૂપે હર્ષ સંઘવી મોરબી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. તેમણે મોરબી મહાનગરપાલિકાના ભાજપના તમામ ઉમેદવારો તેમજ પ્રબુદ્ધ નાગરિકો અને ઉદ્યોગકારો સાથે સંવાદ કર્યો હતો. સંઘવીએ મોરબીએ કોંગ્રેસના શાસનકાળના ભૂતકાળના દિવસો અને ભાજપના સુશાસનના દિવસો બંને જોયા હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, જો ભૂતકાળના દિવસો પાછા ન આવે તેવું ઈચ્છતા હોય તો વિકાસ રોકવાનો પ્રયાસ કરનારાઓને પરાજિત કરવા અનિવાર્ય છે. નાયબ મુખ્યમંત્રીએ વિપક્ષી પક્ષો, ખાસ કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, હાલમાં ચૂંટણી માટે જુદી જુદી જગ્યાએ કાર્યાલય ખુલતા હોય છે, પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યાલય પર કોઈ માણસો દેખાતા નથી. સમાજ જીવનમાં જૂઠાણું ટૂંકા સમય માટે ચાલે છે, લાંબા સમય સુધી નહીં. તેમણે ચેતવણી આપી હતી કે, જો કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીમાંથી કોઈ આગેવાન ચૂંટાશે તો મોરબીનો વિકાસ રૂંધવાનું કામ કરશે. સંઘવીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ ચૂંટણીમાં મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ભાજપ ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહ્યું છે. તેમણે ભાજપના ઉમેદવારોને સંબોધતા કહ્યું હતું કે, ભાજપના કાર્યકર્તાઓ વર્ષો સુધી પોતાના વિસ્તાર અને વોર્ડમાં કામ કરતા હોય છે, જેના કારણે જ ઉમેદવારો વિજયી બને છે. તેમણે દરેક ઉમેદવારને પોતાના મત વિસ્તારમાંથી કોઈપણ નાગરિકનો અડધી રાતે ફોન આવે તો હસતા મોઢે તેનું કામ કરવાની તૈયારી રાખવા ટકોર કરી હતી.
અખાત્રીજ (અક્ષય તૃતીયા) લગ્ન માટેનું શ્રેષ્ઠ મુહૂર્ત મનાય છે. આ દિવસે અનેક લગ્નો અને સમૂહલગ્નો યોજાય છે. ભૂતકાળના અનુભવો દર્શાવે છે કે આ દિવસે બાળલગ્નો થવાની સંભાવના વધુ રહે છે. આ સામાજિક દૂષણને રોકવા સુરેન્દ્રનગર જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક કચેરી દ્વારા તાલુકાવાર ખાસ ટીમો બનાવવામાં આવી છે, જે શંકાસ્પદ લગ્નો પર ચાંપતી નજર રાખશે. બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 મુજબ, છોકરીના 18 વર્ષ પહેલાં અને છોકરાના 21 વર્ષ પહેલાં લગ્ન કરવા એ કાયદેસર રીતે સજાપાત્ર ગુનો છે. વહીવટી તંત્રએ સમૂહલગ્નોના આયોજકો, સામાજિક આગેવાનો, ગોર મહારાજ, રસોઈયા, મંડપ ડેકોરેશનવાળા, ફોટોગ્રાફર તથા વર-કન્યા પક્ષના પરિવારોને આવા કોઈ પણ બાળલગ્નમાં સહભાગી ન બનવા ખાસ અનુરોધ કર્યો છે. બાળલગ્નના કારણે દીકરા-દીકરીઓના શારીરિક અને માનસિક આરોગ્ય પર અત્યંત વિપરીત અસરો થાય છે. કાયદાની જોગવાઈ અનુસાર, જો કોઈ પણ વ્યક્તિ બાળલગ્ન કરાવવામાં સંડોવાયેલું જણાશે, તો તેને રૂ. 1 લાખ સુધીનો દંડ અને 2 વર્ષ સુધીની કઠોર કેદની સજા થઈ શકે છે. સમાજમાંથી આ દૂષણને નાબૂદ કરવા માટે દરેક નાગરિકે પોતાની સામાજિક જવાબદારી નિભાવવી અનિવાર્ય છે. જો આપના વિસ્તારમાં કોઈ બાળલગ્ન થતા જોવા મળે તો તેને અટકાવવા માટે તાત્કાલિક વહીવટી તંત્રને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. બાળલગ્ન અટકાવવા માટે ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર 1098, પોલીસ કંટ્રોલ રૂમ 100, મહિલા અભયમ હેલ્પલાઇન 181, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી, સુરેન્દ્રનગરનો સંપર્ક કરી શકાય છે.
અમદાવાદમાં આવેલી ઇન્ફિનિયમ મોટર્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના દશરથ ખાતે આવેલા ટોયોટા શોરૂમમાં કામ કરતા કેશિયર દ્વારા 26 લાખ રૂપિયાની ઉચાપતની ફરિયાદ છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. કંપનીના સિનિયર કેશિયર દ્વારા કરવામાં આવેલી તપાસ અને ઓડિટ દરમિયાન આ ગોટાળો બહાર આવ્યો છે. અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં રહેતા અને ઇન્ફિનિયમ મોટર્સ પ્રાઈવેટ લિમિટેડમાં છેલ્લા 19 વર્ષથી કેશિયર તરીકે ફરજ બજાવતા ફરિયાદી કલ્પેશભાઈ જયંતીલાલ મિસ્ત્રી દ્વારા આ મામલે વડોદરાના છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે પ્રમાણે કંપનીના દશરથ વિસ્તારમાં આવેલ ટોયોટા શોરૂમમાં કેશિયર તરીકે કામ કરતા કરણ સુખદેવભાઈ બારિયા (રહે. વડોદરા) પર આક્ષેપ છે કે, તેમણે ગ્રાહકો પાસેથી લેવાયેલા રૂપિયા કંપનીના ખાતામાં જમા કરાવ્યા વગર પોતાના ઉપયોગમાં લઈ લીધા હતા. 13 જાન્યુઆરી 2026થી 13 એપ્રિલ 2026 દરમિયાન નવા ફોર વ્હીલર વાહનોના વેચાણ તથા સર્વિસ માટે આવેલા વાહનોના ચાર્જ તરીકે ગ્રાહકો પાસેથી વસૂલ કરાયેલા કુલ રૂ. 39.04 લાખમાંથી માત્ર આશરે 12.97 લાખ રૂપિયા જ કંપનીના બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા, જ્યારે બાકીના 26.06 લાખ રૂપિયાની ઉચાપત કરી હતી. આ ગોટાળો કંપનીના ચોથા ક્વાર્ટરના ઓડિટ દરમિયાન બહાર આવ્યો હતો. ત્યારબાદ કંપનીના અધિકારીઓએ આરોપી સાથે સંપર્ક કરતા તેણે શરૂઆતમાં ગેરરીતિ નકારી હતી, પરંતુ, બાદમાં હિસાબ ચકાસણી દરમિયાન અલગ-અલગ તારીખે રૂપિયા ઉચાપત કર્યાની કબૂલાત કરી હતી. કંપની તરફથી વધુ તપાસ માટે શો રૂમના સર્વિસ મેનેજર, સેલ્સ મેનેજર અને અન્ય સ્ટાફના નિવેદનો પણ લેવામાં આવશે. હાલ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે અને આગળની તપાસ શરૂ કરી છે.
અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના સનાળિયા ગામે બાઈકના હપ્તા ભરવા બાબતે થયેલી મારામારીની ઘટના હવે હત્યામાં પરિણમી છે. આ ઘટનામાં એક યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. લીલિયા પોલીસે આ મામલે ઝડપી કાર્યવાહી કરીને છ આરોપીઓની ધરપકડ કરી છે અને ઘટનાનું રિકંસ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક મહેન્દ્રભાઈ ઢીમેચાએ આરોપી અજયભાઈ મકવાણા પાસેથી ફાઈનાન્સ પર બાઈક ખરીદ્યું હતું. બાઈકના હપ્તા ભરવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, જેના કારણે મનદુઃખ ઊભું થયું હતું. આ જ અદાવત રાખીને આરોપીઓએ મહેન્દ્રભાઈ અને યુવરાજભાઈ ઢીમેચા પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન, કુહાડી જેવા ઘાતક હથિયારથી મહેન્દ્રભાઈના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેમને તાત્કાલિક રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ મારામારીનો મામલો હત્યામાં પરિવર્તિત થયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને લીલિયા પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું. DYSP વિરલ ચંદનના માર્ગદર્શન હેઠળ લીલિયા પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરીને તમામ છ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં સાગર ભીખાભાઈ મકવાણા (ઉ. 25), પ્રકાશ ખોડાભાઈ મકવાણા (ઉ. 26), મિલન બાલાભાઈ મકવાણા (ઉ. 19), હરેશ ભોળાભાઈ મકવાણા (ઉ. 32), વિશાલ ખોડાભાઈ મકવાણા (ઉ. 24) અને અજય ભીખાભાઈ મકવાણા (ઉ. 33) નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓની ધરપકડ કર્યા બાદ પંચોની હાજરીમાં ઘટનાનું રિકંસ્ટ્રક્શન પણ કર્યું હતું. આરોપીઓને લીલિયા-સનાળિયા રોડ પર આવેલી ખોડલ હોટલ અને મુખ્ય બનાવના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાની પુનઃરચના કરવામાં આવી હતી. શરૂઆતમાં આરોપીઓ વિરુદ્ધ રાયોટિંગ અને એટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે, મહેન્દ્રભાઈના મોત બાદ હવે આ ગુનામાં હત્યાની કલમ પણ ઉમેરવામાં આવી છે. આ મામલે લીલિયા પોલીસ સ્ટેશન દ્વારા વધુ તપાસ ચાલુ છે.
ગુજરાતમાં કોલેજ પ્રવેશ માટેના GCAS (Gujarat Common Admission Services) પોર્ટલમાં જોવા મળતી ખામીઓ અને રજિસ્ટ્રેશન ફીના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજ્યવ્યાપી આંદોલન છેડવામાં આવ્યું છે આ કડી અંતર્ગત શહેરના વાઘાવાડી રોડ પર વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થતાં મામલો ગરમાયો હતો. ABVPના ગુજરાત પ્રદેશ સહમંત્રી જયદીપસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે, જીકાસ પોર્ટલમાં પ્રાઈવેટ યુનિવર્સિટીઓનો સમાવેશ ન હોવાથી વિદ્યાર્થીઓને મોંઘી ફી ભરીને અન્યત્ર શિક્ષણ લેવાની ફરજ પડે છે આ શિક્ષણના વ્યાપારીકરણ તરફ ઈશારો કરે છે, વિદ્યાર્થીઓ પાસેથી વસૂલવામાં આવતી રૂ.300ની રજિસ્ટ્રેશન ફીને વિદ્યાર્થીઓ પરનું આર્થિક ભારણ ગણાવી તેને તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે, જો ખાનગી યુનિવર્સિટીઓને સામેલ ન કરવામાં આવે, તો એડમિશન પ્રક્રિયાને ડી-સેન્ટ્રલાઈઝ કરી જે-તે યુનિવર્સિટીને પ્રવેશ માટેની સ્વાયત્તતા આપવી જોઈએ, જીકાસ પોર્ટલ માત્ર ડેટા કલેક્શનનું માધ્યમ બની રહેવું જોઈએ, નહીં કે પ્રવેશમાં અવરોધરૂપ. આજે શહેરના વાઘાવાડી રોડ પર વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને ABVP કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું, જયદીપસિંહ ગોહિલ એ આક્ષેપ કર્યો હતો કે, શાંતિપૂર્ણ આંદોલન દરમિયાન પોલીસ કર્મીઓ દ્વારા કાર્યકર્તાઓ પર હુમલો કરવામાં આવ્યો છે આ ઘટના બાદ નીલમબાગ પોલીસ દ્વારા જયદીપસિંહ ગોહિલ સહિતના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી, તેમજ વધુમાં જણાવ્યું હતું કે, અમે ભાજપનો ભાગ નથી, ABVP એ ભાજપનું સંગઠન નથી, પરંતુ એક સ્વતંત્ર વિદ્યાર્થી સંગઠન છે તે RSS સાથે સંકલન ધરાવતી ભગિની સંસ્થા છે, ABVPએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં વિદ્યાર્થીલક્ષી આ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો સમગ્ર ગુજરાતમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.
ગોધરાના ચર્ચ સર્કલ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા GCAS પોર્ટલને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લાના ABVP કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિવિધ માંગણીઓ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. ABVPના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને GCAS પોર્ટલ સંબંધિત મુખ્ય સમસ્યાઓ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હાલ GCAS પોર્ટલમાં ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ કરવામાં આવતો નથી, જેના કારણે વિદ્યાર્થીઓને પસંદગીના વિકલ્પોમાં મર્યાદા અનુભવાય છે. આથી, ખાનગી યુનિવર્સિટીઓને પણ પોર્ટલમાં સમાવેશ કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. વધુમાં, ABVPએ જણાવ્યું હતું કે ટ્રાઇબલ બેલ્ટના વિદ્યાર્થીઓ પાસેથી GCAS પોર્ટલ હેઠળ આશરે ₹300 જેટલી ફી વસૂલવામાં આવે છે, જે આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે બોજારૂપ છે. આ ફી ઘટાડીને વિદ્યાર્થીઓને રાહત આપવાની પણ મુખ્ય માંગ રાખવામાં આવી હતી. તે ઉપરાંત, GCAS પોર્ટલમાં રહેલી વિવિધ તકનીકી ખામીઓ અને વ્યવસ્થાપન સંબંધિત ક્ષતિઓને દૂર કરવાની માંગ સાથે કાર્યકરો દ્વારા ઉગ્ર નારા લગાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે પોર્ટલની ખામીઓના કારણે પ્રવેશ પ્રક્રિયામાં મુશ્કેલીઓ ઊભી થાય છે, જેનો તાત્કાલિક ઉકેલ લાવવો જરૂરી છે. ABVPના આગેવાનો દ્વારા ચીમકી આપવામાં આવી હતી કે જો આગામી સમયમાં આ તમામ માંગણીઓનો યોગ્ય ઉકેલ લાવવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન શહેરમાં થોડા સમય માટે ટ્રાફિક પર પણ અસર જોવા મળી હતી, જોકે પોલીસ તંત્ર દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવામાં આવી હતી.
અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી બ્રિજ નીચેથી બાઇક ચોરી કરતી એક ગેંગ સોલા પોલીસે ઝડપી પાડી છે. પોલીસે એક બાઈક ચોરીની તપાસ કરી રહી હતી. જ્યારે પોલીસે એક બાઈક ચોરને પકડ્યો તો તેની પાસેથી ચોરીના અન્ય 22 બાઇક મળી આવ્યા હતાં. પોલીસે કુલ 23 ચોરીના બાઇક સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ચોરીનો એક બાઈક સાથે દબોચ્યો ને ગેંગ ઝડપાઈ સોલા બ્રિજ નીચેથી એક બાઈક ચોરી થતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. સોલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.જે દેસાઈ અને એન.એ સિંઘને તપાસ દરમિયાન સીસીટીવી ફુટેજના આધારે ગોપાલ તીરગર નામના આરોપીની ધરપકડ કરી હતી. જેની પાસેથી ચોરીનો એક બાઈક મળી આવ્યું હતું.આરોપીની પૂછપરછ દરમિયાન આરોપીએ એક બાઈક નહીં પરંતુ તેના અન્ય સાગરીતો સાથે મળીને કુલ 23 બાઈક ચોરી કર્યા હોવાની કબુલાત કરી હતી. પોલીસે મુકેશ પારગી અને ભરત શિંગાળા નામના અન્ય બે આરોપીઓની ધરપકડ કરી હતી.આરોપીઓને સાથે લઈ જઈને ભાડજ સર્કલ પાસેથી ચોરી કરીને સંતાડેલા 22 બાઈક કબ્જે કર્યા હતાં. ત્રણેય આરોપીની ધરપકડપોલીસ તપાસ દરમિયાન આરોપીઓએ સોલામાંથી 9, રામોલમાંથી 5, કૃષ્ણનગરમાંથી 1, ઓઢવમાંથી 1, નિકોલમાંથી 1, રીવરફ્રન્ટમાંથી 1 અને કઠલાલમાંથી 1બાઇક ચોરી કર્યું હતું. આરોપીની ધરપકડથી કુલ 19 જેટલા ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. હાલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ નકલી ચાવીનો એક જુડો સાથે રાખતાઆરોપીઓ ચોરી કરવા માટે નકલી ચાવીનો એક જુડો સાથે રાખતા હતા. જે બાદ હીરો કંપનીના સામાન્ય સ્પ્લેન્ડર બાઈકને જ ટાર્ગેટ કરીને તેમાં ચાવી નાખીને લોક ખોલી ચોરી કરતા હતાં. આરોપીઓ આ બાઇક ભેગા કરીને વેચવાના હતા પરંતુ તે પહેલા જ ધરપકડ કરી દેવામાં આવી છે.
પંચમહાલ કોંગ્રેસ પ્રમુખનું પક્ષાંતર:અજિતસિંહ ભાટીને કાર્યકારી પ્રમુખની જવાબદારી સોંપાઈ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે પંચમહાલ જિલ્લા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારે ગઈકાલે પક્ષનો સાથ છોડી દીધો છે. તેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કેસરિયો ધારણ કરી લેતા કોંગ્રેસ છાવણીમાં સોપો પડી ગયો હતો. આ કટોકટીના સમયે પક્ષે હવે અજિતસિંહ ભાટીને જિલ્લા કાર્યકારી પ્રમુખ તરીકેની કમાન સોંપી છે. પંચમહાલ કોંગ્રેસ પ્રમુખના પક્ષાંતર બાદ હવે કાર્યકારી પ્રમુખ અજિતસિંહ ભાટીના શિરે પક્ષની નૈયા પાર કરવાની જવાબદારી આવી પડી છે. ગોધરા નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત મળી કુલ 142 બેઠકો પર ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવારોની જવાબદારી હવે તેમના પર છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિનું કાર્યાલય હાલ અજીબોગરીબ સ્થિતિનું સાક્ષી બની રહ્યું છે. કાર્યાલયની દીવાલો પર રાહુલ ગાંધીના 'ડરો મત' ના પોસ્ટર લાગેલા છે. તેની નજીક સ્તંભ ઉપર ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વ. ઇન્દિરા ગાંધીની હસતી તસવીર જાણે પક્ષની વર્તમાન સ્થિતિને નિહાળી રહી છે. બીજી તરફ, કાર્યાલયના એક ખૂણે ધૂળ ખાઈ રહેલા કોંગ્રેસી પંજાના નિશાનવાળા ખેસનો ઢગલો પક્ષની નિષ્ક્રિયતા કે સંઘર્ષની કહાણી કહી રહ્યો છે. આ પક્ષાંતર અને સંસાધનોના અભાવ વચ્ચે અજિતસિંહ ભાટી પંચમહાલમાં કોંગ્રેસનો ગઢ બચાવી શકે છે કે કેમ, તે જોવું રહ્યું.
પાટણ નગરપાલિકાના ઢોર ડબ્બાની ટીમની કથિત બેદરકારીને કારણે ચાર ગાયોના મોત થયા છે. આ ઘટનાથી માલધારી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમાજના અગ્રણીઓએ ન્યાય નહીં મળે તો આગામી નગરપાલિકા ચૂંટણીમાં સત્તાધારી પક્ષ ભાજપના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. પાટણ શહેરમાં રખડતા ઢોરો પકડવાની ઝુંબેશ દરમિયાન નગરપાલિકાના કર્મચારીઓની ગંભીર બેદરકારી સામે આવી હતી. માલધારી સમાજના આક્ષેપ મુજબ, જે પાંજરામાં 10 થી 11 પશુઓને રાખવાની ક્ષમતા છે, તેમાં 21 પશુઓને ખીચોખીચ ભરવામાં આવ્યા હતા. અપૂરતી જગ્યા અને ગૂંગળામણને કારણે એક ગર્ભવતી ગાય સહિત કુલ ચાર ગાયોના મોત થયા હતા. પશુપાલકોએ પશુઓને પકડતી વખતે ક્રૂરતાપૂર્વક માર મારવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. આ ઘટના બાદ રબારી અને ભરવાડ સમાજના અગ્રણીઓએ પાટણ જિલ્લા પોલીસવડાને લેખિત રજૂઆત કરી હતી. તેમણે જવાબદાર કર્મચારીઓ સામે ફોજદારી ગુનો દાખલ કરવાની માંગ કરી છે. પશુપાલકોએ મૃત ગાયોનું વેટરનરી ડોક્ટર પાસે પેનલ પોસ્ટમોર્ટમ કરાવવા અને પશુઓને પકડવાની પ્રક્રિયામાં માનવીય અભિગમ અપનાવવા પણ માંગણી કરી છે. ઘટનાની ગંભીરતા જોતા માલધારી સમાજે આગામી પાટણ નગરપાલિકાની 11 વોર્ડની ચૂંટણીમાં ભાજપનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી ભાજપને એક પણ વોટ આપવામાં આવશે નહીં. વધુમાં, રબારી-ભરવાડના વિસ્તારોમાં ભાજપના લોકોએ પ્રચાર માટે આવવું નહીં તેવા બોર્ડ પણ લગાવવામાં આવશે.
રાવલ નગરપાલિકા: ભાજપ જીત માટે સક્રિય:ધારાસભ્ય પબુભા માણેકે વિકાસના મુદ્દે મતદારોને અપીલ કરી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાવલ નગરપાલિકા પર કબજો જમાવવા માટે ભાજપે જોરદાર તૈયારીઓ હાથ ધરી છે. આ સંદર્ભે, ભાજપના ધારાસભ્ય પબુભા માણેકે રાવલ નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ધારાસભ્ય પબુભા માણેકે જણાવ્યું હતું કે, રાવલ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા વિકાસકાર્યોને કારણે જનતા ભાજપ તરફ આકર્ષાઈ રહી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે વિકાસના મુદ્દે મતદારોનો આશીર્વાદ ભાજપને મળશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પાર્ટીનું સંગઠન બૂથ લેવલ સુધી મજબૂત બનાવવામાં આવ્યું છે. દરેક કાર્યકર ચૂંટણી જીતવા માટે પ્રતિબદ્ધ છે. માણેકે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, અમારું લક્ષ્ય માત્ર જીતવાનું નથી, પરંતુ વધુ બહુમતી સાથે જીતવાનું છે. વિરોધ પક્ષ પર નિશાન સાધતા પબુભા માણેકે કહ્યું હતું કે કોંગ્રેસ પાસે કોઈ ચોક્કસ મુદ્દા નથી, જ્યારે ભાજપ વિકાસના એજન્ડા સાથે મેદાનમાં છે. તેમણે રાવલના મતદારોને વિકાસની ગતિ જાળવી રાખવા માટે ભાજપને તક આપવા અપીલ કરી હતી
સુરત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગરમાવા વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કતારગામ વેડના મધ્યસ્થ કાર્યાલય પરથી વિપક્ષોને આકરા શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે સુરતની કાયદો અને વ્યવસ્થા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, એક સમય એવો હતો જ્યારે આપણું સુરત, અમદાવાદ અને વડોદરા લુખ્ખા-ટપોરીઓના નામથી ઓળખાતું હતું. પરંતુ આજે સ્થિતિ બદલાઈ છે. આજે કોઈ ટપોરી હિંમત કરે તો ચાર મહિના સુધી ચાલી ન શકે ને તેવી પરિસ્થિતિ અમે ઉભી કરીએ છીએ. આ નિવેદન દ્વારા સંઘવીએ સ્પષ્ટ કર્યું કે, ગુજરાતમાં ગુંડાગીરી સામે સરકાર કોઈ પણ બાંધછોડ કરવાના મૂડમાં નથી. 'એક-એકને સીધા કરીશ, હવે લવારા કરતા લોકોનો વારો પણ ચોક્કસ લાગશે'હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં કોઈનું નામ લીધા વગર AAP અને અન્ય વિપક્ષી નેતાઓ પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, કેટલાક એવા નેતાઓ છે જે સવારે જાગીને 5, 25 કે 50 લોકોની હાજરીમાં જો 100 વાર હર્ષ સંઘવીનું નામ ન લે તો તેમની નેતાગીરી જ પૂરી થઈ જાય. મેં પણ હવે નક્કી કરી લીધું છે કે એક-એકને સીધા કરીને જ રહીશ. લુખ્ખા અને ટપોરીઓનો વારો તો લાગી ગયો છે, હવે વહેલી સવારે લવારા કરતા લોકોનો વારો પણ ચોક્કસ લાગશે. 'કોંગ્રેસના શાસનમાં ભય અને અશાંતિનું વાતાવરણ હતું'કોંગ્રેસ પર નિશાન સાધતા નાયબ મુખ્યમંત્રીએ પેઢીગત તફાવત સમજાવ્યો હતો. તેમણે કહ્યું કે 45 વર્ષથી ઉપરના લોકોએ કોંગ્રેસનું શાસન જોયું હશે, પણ 55 વર્ષથી મોટી ઉંમરના લોકોએ તો કોંગ્રેસનું 'દુઃશાસન' જોયું છે. તેમણે હર્ષ વ્યક્ત કર્યો કે તેમની પેઢી અને તેમની પછી જન્મેલા લોકો ભાગ્યશાળી છે કે જેમણે નરેન્દ્ર મોદીનું સુશાસન જોયું છે. કોંગ્રેસના શાસનમાં ભય અને અશાંતિનું વાતાવરણ હતું, જ્યારે ભાજપના શાસનમાં વિકાસ અને સુરક્ષા પ્રાથમિકતા બની છે. 'ભાજપની 720 બેઠકો પર વિજય નિશ્ચિત થયો'ગુજરાતભરમાં ભાજપના ઉમેદવારોના ફોર્મ ખેંચવાની પ્રક્રિયા અને બિનહરીફ બેઠકો અંગે હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે દાવો કર્યો કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધીમાં જ 200 બેઠકો પર ભાજપની જીત નક્કી થઈ ગઈ હતી. જે લોકો પ્રચારમાં નીકળ્યા પણ તેમને લોકોનો આવકાર ન મળ્યો અને ગામડાઓમાં 'નો એન્ટ્રી' થઈ ગઈ, તેના કારણે વધુ 520 ઉમેદવારો ખરી પડ્યા. આમ, ગઈકાલ સાંજ સુધીમાં ભાજપની 720 બેઠકો પર વિજય નિશ્ચિત થઈ ગયો છે. 'પાંચ વર્ષ પહેલા નાની ભૂલને કારણે લોકોએ સહન કરવું પડ્યું હતું'મતદારોને જાગૃત કરતા સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતીઓ સ્વભાવે લાગણીશીલ હોય છે. કોઈ જરાક કંઈ સમજાવે તો ભોળપણમાં આપણે વાતોમાં આવી જઈએ છીએ. વોર્ડ નંબર સાતનો ઉલ્લેખ કરતા સંઘવીએ કહ્યું કે, પાંચ વર્ષ પહેલા નાની ભૂલને કારણે લોકોએ સહન કરવું પડ્યું હતું. પરંતુ આ વખતે લોકો જાગૃત છે અને વિરોધ પક્ષો પાસે લડવા માટે ઉમેદવારો પણ નથી મળતા. આ વિજય માત્ર ભાજપનો નથી, પણ ગુજરાતના પ્રત્યેક નાગરિકનો છે. 'કોંગ્રેસ અને 'આપિયા' રિઝલ્ટના આગલા દિવસે EVMના નામે રોતલા રડશે'ચૂંટણીમાં હાર ભાળી ગયેલા વિપક્ષો પર કટાક્ષ કરતા હર્ષ સંઘવીએ કહ્યું કે, કોંગ્રેસ અને 'આપિયા' (AAP) રિઝલ્ટના આગલા દિવસે EVM ના નામે રોતલા રડવાનું શરૂ કરે છે. આ વખતે તો ઉમેદવાર નથી મળતા એટલે અત્યારથી જ બહાના શોધવાનું શરૂ કરી દીધું છે. તેમણે સલાહ આપતા કહ્યું કે જો કર્મ સારા કરો, લોકોની વચ્ચે રહો અને ગુજરાતના હિતની વાત કરો તો ઉમેદવાર ઓટોમેટિક મળે, પણ દરરોજ ગુજરાતને ગાળો આપવાથી જનતા સાથે નથી આવતી. 'બીજા રાજ્યોની ચૂંટણી વખતે તેને ગુજરાતના લોકો મૂર્ખ દેખાય છે'કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનનો ઉલ્લેખ કરતા હર્ષ સંઘવીએ કહ્યું કે, ખડગેજી બીજા રાજ્યોમાં પ્રચારમાં જાય છે ત્યારે તેમને ગુજરાતની યાદ કેમ આવી જાય છે? રાહુલ ગાંધી હોય કે અરવિંદ કેજરીવાલ, બીજા રાજ્યોની ચૂંટણી વખતે તેમને ગુજરાતના લોકો મૂર્ખ દેખાય છે. ગુજરાતને બદનામ કરવાની આ એક ફેશન બની ગઈ છે. તેમણે સવાલ કર્યો કે ખડગેજીને આ નિવેદન રાહુલ ગાંધીએ લખી આપ્યું હતું કે સ્થાનિક કોંગ્રેસી નેતાઓએ? ગુજરાતના હિતમાં મજબૂત નેતૃત્વની જરૂરઅંતે હર્ષ સંઘવીએ લોકોને મજબૂતાઈથી ભાજપની સાથે રહેવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે સુરત અને આખું ગુજરાત શાંતિ અને સમૃદ્ધિના માર્ગે આગળ વધી રહ્યું છે. લુખ્ખાગીરી નાબૂદ થઈ છે અને વિકાસની ગતિ તેજ બની છે. ચૂંટણીના આ માહોલમાં જનતાનો મળતો અભૂતપૂર્વ પ્રતિસાદ એ જ વાતની સાક્ષી પૂરે છે કે ગુજરાતની જનતાને મોદી સાહેબના નેતૃત્વ અને ભાજપની નીતિઓ પર અતૂટ વિશ્વાસ છે.
આઈપીએલની સિઝન જામી છે, ત્યારે ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનું દૂષણ પણ પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. જેના પર અંકુશ મેળવવા ગાંધીનગર એલસીબી 1ની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે રાંદેસણની વૈદિકા હેપ્પી વેલીના L બ્લોકના પાર્કિંગમાં એક શખ્સ છાનામાના ક્રિકેટ સટ્ટાનો વેપલો ચલાવી રહ્યો છે. જેના પગલે ઉપરોક્ત સ્થળે ત્રાટકી ત્યારે કુલદીપ મનોજભાઈ સિંધવાણી (રહે. એલ 403, વૈદિકા હેપ્પી વેલી) મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ પર ગ્રાહકોની સાથે લેવડ-ડેવડ કરી રહ્યો હતો. પોલીસે તેને રન અને વિકેટના રેશિયો પર સટ્ટો લેતા રંગેહાથ દબોચી લીધો હતો. LCBની રેડમાં રંગેહાથ ઝડપાયોતપાસ દરમિયાન સામે આવ્યું કે, સટોડિયો કુલદીપ ALLPANEL777 નામની વેબસાઈટનો ઉપયોગ કરીને ઓનલાઇન સટ્ટો રમાડતો હતો. તેના મોબાઈલમાં Nimsd12 યુઝર આઈડી અને Kunal1234 પાસવર્ડ વડે લોગઈન થયેલું હતું, જેમાં મુંબઈ અને પંજાબની મેચના લાઈવ સ્કોર સાથે પોઈન્ટ્સનું ગણિત ચાલતું હતું. જેના મોબાઈલની સ્ક્રીન પર 24,702 જેટલા પોઈન્ટ્સ ડિસ્પ્લે થઈ રહ્યા હતા. જે લાખોની નાણાકીય લેવડદેવડ તરફ ઈશારો કરે છે. આરોપીનો મોબાઈલ જપ્ત, મોટા બુકીના નામ ખુલી શકેઆ અંગે પીઆઈ ડી. બી. વાળાએ કહ્યુ કે, પકડાયેલ આરોપી મૂળ મોડાસાનો વતની હોવાનું અને હાલ રાંદેસણમાં રહીને આ નેટવર્ક ચલાવતો હોવાનું ખુલ્યું છે. તેની પાસેથી આઇફોન તેમજ રોકડ મળીને 12,500નો મુદ્દામાલ કબ્જે લેવાયો છે. આ સમગ્ર પ્રકરણમાં અન્ય કયા મોટા બુકીઓ કે એજન્ટો સામેલ છે, તેની તપાસ ચાલી રહી છે.
ગુજરાત ચૂંટણી આયોગે આગામી ચૂંટણીઓની તૈયારીઓ સંદર્ભે જિલ્લા વહીવટી તંત્રોને વીડિયો કોન્ફરન્સ દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ અને સુવ્યવસ્થિત રીતે પાર પાડવા માટેના વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ચૂંટણી આયોગે નિર્દેશ આપ્યો છે કે જિલ્લાના તમામ મતદાન મથકોની વિગતો સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવે, જેથી મતદારોને સચોટ માહિતી મળી રહે. વધુમાં, ચૂંટણી સ્ટાફની તાલીમ પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરવા અને પૂરતી સંખ્યામાં EVM મશીનો તૈયાર રાખવા સૂચના અપાઈ હતી. EVM કમિશનિંગની કામગીરી સમયસર પૂરી કરી, જરૂરિયાત મુજબના રિઝર્વ મશીનોની વ્યવસ્થા કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. મતદાન મથકો પર મતદારોની સુવિધા સુનિશ્ચિત કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. દરેક પોલિંગ સ્ટેશન પર પીવાનું પાણી, બેસવાની વ્યવસ્થા અને હેલ્પડેસ્ક ઉપલબ્ધ હોવા જોઈએ. ચૂંટણી અધિકારીઓએ વ્યક્તિગત રીતે મતદાન મથકોની મુલાકાત લઈને આ સુવિધાઓની સમીક્ષા કરવાની રહેશે. કટોકટીની સ્થિતિ માટે સ્થાનિક સ્તરે મેડિકલ ટીમ તૈનાત રાખવાનો પણ આદેશ અપાયો છે. કાઉન્ટિંગ સેન્ટર અને સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરી તેની મંજૂરી લેવાની પ્રક્રિયા હાથ ધરવા પણ સૂચના અપાઈ છે. આ તમામ તૈયારીઓ અંગેનો વિગતવાર રિપોર્ટ 20મી તારીખ સુધીમાં આયોગને મોકલી આપવા જણાવાયું છે. પોસ્ટલ બેલેટ અને સેવા મતદારો માટેની વ્યવસ્થાઓ પણ સમય મર્યાદામાં પૂર્ણ કરવા નિર્દેશ અપાયો છે. મતદાન જાગૃતિ અભિયાન હેઠળ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની યાદી તૈયાર કરવા અને જ્યાં ચૂંટણી બહિષ્કાર જેવી સ્થિતિ હોય ત્યાં લોકોને મતદાન માટે પ્રેરિત કરવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ વીડિયો કોન્ફરન્સમાં દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, નિવાસી અધિક કલેક્ટર જે.એમ. રાવલ સહિત જિલ્લાના તમામ ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કામરેજમાં મૂળ અમરેલીના 70 વર્ષીય વૃદ્ધે આત્મહત્યા કરી:મગજની બીમારીથી કંટાળી ઘઉંમાં નાખવાની દવા પીધી
કામરેજના શેખપુર ખાતે 70 વર્ષીય વૃદ્ધે મગજની બીમારીથી કંટાળીને ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના અંગે કામરેજ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક પ્રાગજીભાઈ નારાયણભાઈ કાકડીયા (70) મૂળ અમરેલી જિલ્લાના મોટા બારમા ગામના વતની હતા. તેઓ હાલ કામરેજના શેખપુર ગામની અક્ષરવિલા સોસાયટીમાં રહી વોચમેન તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પ્રાગજીભાઈ છેલ્લા ત્રણ દિવસથી મગજની બીમારીથી પીડાતા હતા. આ બીમારીથી કંટાળીને તેમણે હતાશામાં આવી જઈ ઘરમાં રાખેલી ઘઉંમાં નાખવાની દવા ગટગટાવી લીધી હતી. ઘટનાની જાણ થતાં તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન પ્રાગજીભાઈનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના અંગે કામરેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રભાસ પાટણમાં બોગસ ડોક્ટર ઝડપાયો:SOG ટીમે ગેરકાયદેસર ક્લિનિક ચલાવતા શખ્સને પકડ્યો
ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ વિસ્તારમાંથી એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. એસ.ઓ.જી. ટીમે રેડ પાડીને માન્ય મેડિકલ ડિગ્રી વગર એલોપેથીક સારવાર આપતા એક શખ્સને પકડી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી કુલ રૂ. 6,206 નો મુદ્દામાલ, જેમાં એલોપેથીક દવાઓ અને મેડિકલ સાધનોનો સમાવેશ થાય છે, તે જપ્ત કર્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, જિલ્લામાં બોગસ ડોકટરો દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થવાના બનાવો વધતા ઉચ્ચ અધિકારીઓએ કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, જયદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમ પેટ્રોલિંગમાં હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે, સાઇન કોલોની, રંગીલાબાપુની દરગાહ નજીક આવેલા એક ક્લિનિક પર રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન જાણવા મળ્યું કે એક વ્યક્તિ કોઈપણ માન્ય ડિગ્રી કે સર્ટિફિકેટ વગર પ્રાઇવેટ ક્લિનિક ચલાવી દર્દીઓને એલોપેથીક દવાઓ આપી રહ્યો હતો. મેડિકલ ઓફિસર સાથે સ્થળ પર ચકાસણી કરવામાં આવતા, આરોપી પાસે જરૂરી લાયકાત ન હોવાની પુષ્ટિ થઈ હતી. આથી, પોલીસે સ્થળ પરથી જ તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ. કાગડા અને પી.એસ.આઇ. આર.એસ. સુવા સહિત સ્ટાફના જવાનો જોડાયા હતા. પોલીસે આરોપી વિરુદ્ધ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ સારવાર માટે માત્ર માન્ય અને નોંધાયેલા ડોક્ટરનો જ સંપર્ક કરવો. શંકાસ્પદ ક્લિનિક કે બોગસ ડોક્ટર વિશે તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા પણ સૂચન કરવામાં આવ્યું છે. પોલીસ વિભાગે સંકેત આપ્યો છે કે જિલ્લામાં આ પ્રકારની કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. આરોગ્ય સાથે સંકળાયેલા આવા ગુનાઓ સામે કડક પગલાં લઈને જનસુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાઠંબામાં સભા સંબોધી:ભાજપને જંગી બહુમતીથી જીતાડવા મતદારોને આહવાન કર્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર અર્થે સાઠંબા ખાતે 'વિકાસ સંકલ્પ સભા'ને સંબોધન કર્યું હતું. તેમણે મતદારોને આગામી 26 તારીખે ભાજપને જંગી બહુમતીથી વિજયી બનાવવા આહવાન કર્યું હતું. બાયડમાંથી છૂટા પડેલા નવનિર્મિત સાઠંબા તાલુકાના મુખ્ય મથક ખાતે આ સભા યોજાઈ હતી. મુખ્યમંત્રીએ આ વિસ્તારમાં થયેલા વિકાસ કાર્યોની ગણતરી કરાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, તળાવો ભરીને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવ્યું છે અને નવા રોડ-રસ્તા પણ બનાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ વિસ્તારમાંથી દાહોદ બોર્ડર સુધી રૂપિયા 1600 કરોડના ખર્ચે નવો કોરિડોર બની રહ્યો છે. તેમણે જનમેદનીને અપીલ કરી હતી કે, આ વિસ્તારની તાલુકા પંચાયતોમાં ભાજપનું શાસન આવે અને જિલ્લા પંચાયતોની બેઠકો પર પણ ભાજપનો વિજય થાય તે માટે 26 તારીખે ભાજપ તરફી મતદાન કરવું સૌની ફરજ છે. સભા દરમિયાન, જનતા વચ્ચે બેઠેલી એક નાની બાળકીએ મુખ્યમંત્રીને મળીને ભેટ આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ તરત જ બાળકીને સ્ટેજ પર બોલાવી તેની ભેટ સ્વીકારી હતી.
અખિલ ભારતીય વિધાર્થી પરિષદ (ABVP) ગુજરાત પ્રદેશ દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પોર્ટલની ખામીઓ અને પોર્ટલની નિષ્ફળતા અંગે રાજ્ય સરકારને વારંવાર ધ્યાન દોરવામાં આવવા છતાં કોઈ સુધારા ન થતા આખરે આજે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે આવેલી રોઝરી સ્કૂલથી સેફ્રોન ટાવર સુધી રેલી સ્વરૂપે ભારે સૂત્રોચાર સાથે વિદ્યાર્થી સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો કે બાદમાં પોલીસ આવી અને એકબાદ એક એબીવીપી કાર્યકર્તાઓને ટીંગાટોળી કરી પોલીસ વેનમાં ભરી દીધા હતા. આ વિરોધ પ્રદર્શનમાં એબીવીપીના 100 વધુ કાર્યકર્તાઓ જોડાયા હતા. પોલીસે 30 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. ખાસ કરીને GCAS પોર્ટલમાં ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ ન કરવાથી વિધાર્થીઓને મજબૂરીમાં વધારે ફી ચૂકવીને ખાનગી સંસ્થાઓમાં પ્રવેશ લેવો પડે છે. જેને કારણે રાજ્ય વિશ્વવિધાલયો અને તેની સંલગ્ન મહાવિધાલયોની સ્થિતિ દયાજનક બની છે. આ પરથી ધ્યાનમાં આવે છે કે શિક્ષણ ક્ષેત્રમાં ખાનગીકરણના વધતા જતા ચલણથી શિક્ષણ માફિયા વિધાર્થીઓના ભવિષ્ય સાથે રમત કરી રહ્યા છે. ABVP ગુજરાતની GCASને લઈને રાજ્ય સરકાર પાસે માંગ આ મુજબ રહી છે જેમાં ખાસ કરીને તાત્કાલિક ધોરણે GCAS પોર્ટલમાં ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ કરવામાં આવે. સાથે જો ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ ન કરવામાં આવે તો GCAS માત્ર ડેટા એકત્રીકરણ માટેનું પોર્ટલ બની રહે અને પ્રવેશ પ્રક્રિયા એ ડિસેન્ટ્રલાઈઝ રીતે વિશ્વવિધાલયો દ્વારા હાથ ધરવામાં આવે. રજીસ્ટ્રેશન ફી ના નામે ઉઘરાવવામાં આવતા 300 રૂપિયાની રકમમાં ઘટાડો કરવામાં આવે અથવા તે બંધ કરવામાં આવે અને વિધાર્થીનીઓ માટે પ્રક્રિયા નિઃશુલ્ક બનાવવામાં આવે. વિધાર્થી પરિષદના મહાનગર મહામંત્રી અમિત રામી જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં જીકાસને વિધાર્થીઓને પડતી મુશ્કેલીઓને લઈ આજે વિધાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અખિલ ભારતીય વિધાર્થી પરિષદના તમામ જિલ્લા કેન્દ્ર પર આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વિધાર્થી પરિષદ વિધાર્થીઓના હિતમાં રોડ પર ઉતર્યું છે અને પ્રવેશ, પ્રક્રિયા અને પરીક્ષા સરળ બને તે માટે આ આંદોલન કરી રહ્યા છીએ. સાથે કાળી પટ્ટી ધારણ કરી જીકાસ પોર્ટલ પર રહેલ ખામીઓ દૂર થાય તે માટે વિરોધ નોંધાવ્યો છે.
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કેશરપુરા ગામમાં ગેરકાયદેસર નશીલા પદાર્થોના ખેતી વિરુદ્ધ પોલીસે મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે વડાલી પોલીસે ડ્રોન સર્વેલન્સની મદદથી એક ખેતરમાં ચાલતા ગાંજાના વાવેતરનો પર્દાફાશ કરી 40.200 કિલોગ્રામ જથ્થા સાથે એક શખસની અટકાયત કરી છે. ટેક્નોલોજીની મદદથી ઓપરેશનવડાલી પોલીસને કેશરપુરા ગામની સીમમાં ગાંજાનું વાવેતર થતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીની ખરાઈ કરવા માટે પોલીસે આધુનિક ડ્રોન દ્વારા ખેતરનું નિરીક્ષણ કર્યું હતું. ડ્રોન ફૂટેજમાં શંકાસ્પદ છોડ દેખાતા પોલીસની ટીમે તાત્કાલિક ખેતરમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ખેતરમાંથી ગાંજાના કુલ 68 છોડ મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા મુદ્દામાલની વિગતપોલીસે સ્થળ પરથી કુલ 40 કિલો અને 200 ગ્રામ લીલો ગાંજો જપ્ત કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજાર કિંમત મુજબ આ જથ્થાની કિંમત અંદાજે 20.10 લાખ રૂપિયા આંકવામાં આવી છે. આરોપીની અટકાયત અને તપાસઆ ગુનામાં પોલીસે ખેતરના માલિક મનજી ડુંડ (ઉંમર 47 વર્ષ) ની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આરોપીએ આર્થિક લાભ મેળવવા અને વેચાણના ઈરાદે આ ગેરકાયદેસર ખેતી કરી હતી. પોલીસે NDPS એક્ટ મુજબ ગુનો નોંધી આ નેટવર્કમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી છે.
જૂનાગઢના વિશ્વ પ્રસિદ્ધ અને પવિત્ર ગિરનાર ક્ષેત્રની ધાર્મિક અસ્મિતા અને સનાતની પરંપરાઓ પર તોળાઈ રહેલા કથિત જોખમને પગલે સાધુ-સંતો અને હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ગિરનાર પર્વત પરના પ્રાચીન ધાર્મિક સ્થાનો અને સાર્વજનિક મિલકતો પર થઈ રહેલા દબાણો તેમજ સરકારી દસ્તાવેજોમાં થયેલી ગંભીર ગેરરીતિઓના વિરોધમાં હવે આરપારની લડાઈના મંડાણ થયા છે. આ સમગ્ર વિવાદને ઉકેલવા અને સરકારનું ધ્યાન દોરવા માટે ‘ગિરનાર બચાવો સમિતિ’ દ્વારા આગામી 23મી તારીખે એક વિશાળ જનજાગૃતિ રેલી અને કલેક્ટરને આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આંદોલનની રણનીતિ ઘડવા માટે ભૂતનાથ મંદિર ખાતે મળેલી બેઠકમાં મહંત મહેશગીરી બાપુએ પ્રહારો કર્યા હતા. જેમાં તેને કહ્યું કે, ગિરનારમાં જમીનો વેચાઈ રહી છે, મંદિરોમાં કબજા થઈ રહ્યા છે. જૈન સંપ્રદાયને 2000 વાર જમીન અપાઈ, આ ભ્રષ્ટાચાર સિવાય કંઈ જ નથી. 'એક-એક ઇંચ જમીન પર ધીમે ધીમે કબજો થઈ રહ્યો છે'તેમણે રાણપુર ગામના એક વૃદ્ધનું ઉદાહરણ આપતા ગિરનારમાં થઈ રહેલા દબાણની ગંભીરતા સમજાવી હતી. મહેશગીરી બાપુએ કહ્યું કે, એક વૃદ્ધ ખેતરના શેઢે બેસતા અને રોજ એક પથ્થર ઉઠાવી બે-ચાર ઇંચ આગળ મૂકતા. આમ કરતા કરતા 15-20 વર્ષમાં તેમણે બીજાનું આખું ખેતર દબાવી દીધું હતું. બરાબર આ જ સ્થિતિ ગિરનારમાં છે. અત્યારે તમે તળેટીમાં જશો તો બધું સારું દેખાશે, પણ જો અંદરની તપાસ કરશો તો ખબર પડશે કે એક-એક ઇંચ જમીન પર ધીમે ધીમે કબજો થઈ રહ્યો છે. 'જૈન સંપ્રદાયને 2000 વાર જમીન અપાઈ છે, આ ભ્રષ્ટાચાર સિવાય કંઈ જ નથી'બાપુએ ચેતવણી આપતા કહ્યું કે, જો આજે તમે જાગ્યા નહીં તો ભવિષ્યમાં તળેટીમાં પગ પણ મૂકી શકશો નહીં. સીતાવર જેવી જગ્યાઓ જ્યાં સાધુઓ લોહી-પાણી એક કરીને અન્નક્ષેત્રો ચલાવે છે, ત્યાં અમે એક પથ્થર પણ હલાવી શકતા નથી, જ્યારે જૈન સંપ્રદાયને 2000 વાર જમીન અપાઈ ગઈ છે. આ ભ્રષ્ટાચાર સિવાય કંઈ જ નથી. અમે એવા વેચાઈ ગયેલા બાવાઓ સામે પણ લડી રહ્યા છીએ જેઓ બીજાનું ખાઈને સનાતન ધર્મના હિતને વેચી રહ્યા છે. સનાતન અને ગિરનારને બચાવવા માટે લડવું જ પડશે. જો આગામી 23 તારીખની રેલીમાં જૂનાગઢ સાથ નહીં આપે, તો તમારી આવનારી પેઢીને કહી દેજો અને તમારા દીકરાઓના માથા પર લખી દેજો કે તેનો બાપ દોષી છે કારણ કે તે ગિરનારને બચાવવા મેદાને પડ્યો ન હતો. 'જૈન સંપ્રદાયના અતિક્રમણ વધી રહ્યા છે'આ લડાઈમાં મહેશગીરી બાપુએ સિંહો જેવા મર્દ માણસોની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કે, ભાષણ આપવા કરતા બે-ત્રણ સિંહો જેવા લોકો ભેગા મળીને કંઈક કરે તે જરૂરી છે. ઘેટા-બકરા જેવા હજારો લોકોને જ્ઞાન આપવાથી કંઈ થવાનું નથી. ગૌરક્ષનાથની મૂર્તિ ખંડિત થઈ ત્યારે પરંપરાગત સાધુઓ પણ સમાધાનમાં લાગ્યા હતાં. મારા પર ગિરનાર મુદ્દે બોલવાને કારણે કેસોની સંખ્યા વધીને 22 થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં મેં દોઢ કરોડ જેટલો ખર્ચ કર્યો છે, છતાં હું અડગ રહ્યો છું. અમે ગિરનાર પર આવતા યાત્રિકોને રોટલા આપીએ છીએ, ભેદભાવ વગર સેવા કરીએ છીએ. પરંતુ જે રીતે જૈન સંપ્રદાયના અતિક્રમણ વધી રહ્યા છે અને અધિકારીઓ પણ આવીને મને એવું કહે છે કે 'ગિરનાર ચાલ્યો ગયો છે, તમે તમારી જગ્યા બચાવો', ત્યારે લોહી ઉકળી ઉઠે છે. 'આ મોટું જમીન કૌભાંડ છે'ગિરનારના શેષાવન, ભરતવન અને હનુમાનધારા જેવા વિસ્તારોમાં કોઈપણ પરવાનગી વગર ગેરકાયદે બાંધકામો થઈ રહ્યા છે. વર્ષ 1949ના મંકોડી કમિશનના અહેવાલ મુજબ અન્ય સંપ્રદાય પાસે માત્ર 46-47 જગ્યાઓ હતી. જે આજે લેન્ડ રેકોર્ડમાં છેડછાડ કરીને 150થી વધુ દર્શાવવામાં આવી છે. આ મોટું જમીન કૌભાંડ છે જેમાં સરકારી અધિકારીઓની મિલીભગત હોવાનો આક્ષેપ ભાવેશ વેકરિયાએ કર્યો છે. 23મી તારીખે હજારોની સંખ્યામાં કલેક્ટરને આવેદનતેમણે રાજકીય નેતાઓને પણ અલ્ટીમેટમ આપ્યું છે કે જો તેઓ 23મીએ હાજર નહીં રહે તો તેમને ગિરનાર વિરોધી ગણવામાં આવશે. નિર્ભય પુરોહિત અને અન્ય સંગઠનોએ પણ આહવાન કર્યું છે કે 23મી તારીખે હજારોની સંખ્યામાં ભક્તો પોતાની બાઈક સાથે રેલીમાં જોડાઈને કલેક્ટરને આવેદન આપે અને આ સનાતન અસ્મિતાની લડાઈમાં વિજયી બને. 23મીની આ મહારેલી ગિરનારના ભવિષ્યનો નિર્ણય કરશે તે નક્કી છે. 'ગિરનારમાં માંસ-મદિરાના વિરોધમાં જૂનાગઢના લોકો કેમ એકઠા ન થયા?'ભૂતનાથના મહંત મહેશગીરી બાપુએ વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, ઘણા લોકો મને પૂછે છે કે બાપુ તમે કેમ હમણાં કંઈ બોલતા નથી? કેમ ચૂપ થઈ ગયા છો? તો એ લોકોને મારે કહેવું છે કે, ગિરનાર પર્વત પર અંબાજી મંદિરમાં જ્યારે માંસ અને મદિરા પીરસવાનું ગંભીર પ્રકરણ બન્યું, ત્યારે જૂનાગઢના લોકો કેમ એકઠા ન થયા? શું ધર્મની રક્ષા માટે ભેગા થવા માટે પણ તમારે કોઈના ખાસ આમંત્રણની જરૂર હતી?. જો આવો જ બનાવ અમદાવાદ, વડોદરા, નેપાળ કે અન્ય કોઈ પણ જગ્યાએ બન્યો હોત, તો લોકોએ આ મુદ્દાને રાષ્ટ્રીય સ્તરે ગંભીર રીતે ઉઠાવ્યો હોત અને મોટું આંદોલન છેડ્યું હોત. પરંતુ ગિરનાર પર્વત પર આવી અધાર્મિક ઘટનાઓ બનવા છતાં જૂનાગઢના લોકોના પેટનું પાણી હલતું નથી, તે ખરેખર દુઃખદ બાબત છે. 'મૂર્તિનું માથું તોડીને ફેંકી દેવાયુ, તો પણ કોઈએ વિરોધનો અવાજ ઉઠાવ્યો નહીં'મહેશગીરી બાપુએ વધુમાં આક્ષેપ કરતાં કહ્યું કે, ગિરનાર પર્વત પર ભગવાન ગૌરક્ષનાથજીની મૂર્તિનું માથું તોડીને ફેંકી દેવામાં આવ્યું, છતાં જૂનાગઢ શાંત રહ્યું. આ મુદ્દે કોઈ ભેગું ન થયું અને કોઈએ વિરોધનો અવાજ પણ ઉઠાવ્યો નહીં. મને ત્યારે ખૂબ જ પીડા થઈ હતી. હું જે ગિરનાર માટે કોઈપણ સ્વાર્થ વગર, સાધુ હોય કે સંસારી, જો કોઈ પણ ખોટું કરતું હોય તો તેની સામે લડવા માટે પ્રાણ લઈને બેઠો હતો. ત્યારે જૂનાગઢના લોકોએ જે રીતે સાથે ઊભા રહીને ચાલવું જોઈએ તે જોવા મળ્યું નથી. મને વારંવાર કહેવામાં આવે છે કે જૂનાગઢ મોડું જાગે છે, કારણ કે તેને આઝાદી પણ મોડી મળી હતી. પરંતુ આટલી બધી ઘટનાઓ બન્યા પછી પણ જૂનાગઢ કેટલું મોડું જાગશે? શું જ્યારે બધું જ લૂંટાઈ જશે ત્યારે જૂનાગઢના લોકો જાગશે ?
અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ પર મહિલા કોંગ્રેસના કાર્યકર્તાએ ગંભીર આક્ષેપ લગાવતા રાજકારણ ગરમાયું છે. રખિયાલ-સરસપુર વોર્ડના મહિલા પ્રમુખ ભાવનાબેન ગુપ્તાએ દાવો કર્યો છે કે સોનલબેન પટેલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ આપવા માટે પાર્ટી ફંડના નામે 1 લાખ રૂપિયા એડવાન્સ લીધા હતા. એટલું જ નહીં ટિકિટ ન મળતા પૈસા માંગવા જતા લાફો ઝીંક્યો હોવાનો પણ દાવો કર્યો છે. ભાવનાબેન ગુપ્તાના જણાવ્યા મુજબ, ઉમેદવારોના શોર્ટ લિસ્ટમાં તેમનું નામ આવ્યા બાદ તેમણે હિંમતભાઈ સાથે વાત કરી હતી. જોકે, હિંમતભાઈએ આ બાબત શહેર પ્રમુખ હસ્તક હોવાનું જણાવતા તેમણે સોનલબેનનો સંપર્ક કર્યો હતો. ત્યારે શોર્ટ લિસ્ટમાં નામ આવ્યું હોવાથી પાર્ટી ફંડ આપવું પડે તેવી વાત કરી હતી. મે પૂછ્યું કે કેટલા રુપિયા આપવા પડશે. આ મુલાકાત દરમિયાન સોનલબેને 'પાર્ટી ફંડ' આપવું પડશે તેમ કહી એક લાખ રૂપિયાની માંગણી કરી હતી. ભાવનાબેન ગુપ્તાનું કહેવું છે કે, એક જગ્યાએ ઓલા ગાડી કરીને આવ્યા હતા. ગાડીનો કાચ ખોલીને પૈસા લઈને વિશ્વાસ આપ્યો હતો કે કામ થઈ જશે. એ બાદ 10 તારીખ સુધી રાહ જોઈ અને બાદમાં 11 એપ્રિલે બીજા ઉમેદવારને ટિકિટ આપી દેવામાં આવી હતી. ટિકિટ ન મળતા મામલો બિચક્યોપૈસા આપ્યા હોવા છતાં ફાઈનલ યાદીમાં નામ ન આવતા ભાવનાબેને સોનલબેનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ અન્ય વ્યક્તિ મારફતે તેમને રખિયાલ-સરસપુરના બદલે ઈસનપુરથી લડવા કહેવામાં આવ્યું હતું. મને એવું કહેવામાં આવ્યું કે માહોલ કેવો છે ખબર છેને. તો મે પણ જવાબ આપ્યો કે રખિયાલ-સરસપુરમાં કામ કરી રહી છું તો ત્યાંથી જ લડવા માંગુ છું ને. 11 એપ્રિલથી તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છતા થઈ શક્યો નહીં. કાર્યાલય ખાતે લાફો માર્યાનો દાવોગઈકાલે 17 એપ્રિલે જ્યારે ભાવનાબેન ચર્ચા કરવા માટે વોર્ડના મધ્યસ્થ કાર્યાલય ખાતે ગયા હતા. ત્યારે ત્યાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ મુદ્દે ભાવનાબેને દાવો કર્યો કે, જ્યારે હું વાત કરવા ગઈ ત્યારે સોનલબેન બોલવા લાગ્યા હતા, જેથી ગુસ્સામાં આવીને મેં વાળ પકડીને લાફો મારી દીધો હતો. પાર્ટીના 'દલાલો' સામે રોષભાવનાબેને સ્પષ્ટતા કરી કે તેમને પાર્ટી (કોંગ્રેસ)થી કોઈ તકલીફ નથી, પરંતુ પાર્ટીમાં બેઠેલા જે લોકો 'દલાલી' કરે છે તેમની સામે વાંધો છે.
અમદાવાદ સ્થિત બાળ સુરક્ષા એકમ હેઠળના મુસ્લિમ યતીમખાનાના આંગણે અપરાજીથા ફાઉન્ડેશનના પ્રેરક પ્રકલ્પ 'ટીમ ટીમ તારા' પ્રોગ્રામનો ગરિમાપૂર્ણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ કાર્યક્રમમાં જિલ્લા બાળ પ્રોટેકશન અધિકારી, સંસ્થાના અધિક્ષકશ્રી તેમજ બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ અને સ્ટાફ મિત્રોએ વિશેષ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. આ અવસરે ફાઉન્ડેશનના સ્ટેટ પ્રોજેક્ટ કોર્ડિનેટર મિહિરભાઈ શુક્લા દ્વારા બાળકોને 'વ્યસનમુક્તિ'ના વિષય પર એક પ્રભાવશાળી વીડિયો પ્રસ્તુતિ બતાવી, તેમને નશાની બદીથી દૂર રહી સ્વસ્થ જીવન જીવવાની પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી. અપરાજીથા ફાઉન્ડેશનના નેજા હેઠળ કાર્યરત 'ટીમ ટીમ તારા' પ્રોગ્રામ એ ખરા અર્થમાં બાળકોના જીવન કૌશલ્યોના સિંચન માટેનો એક નવતર પ્રયોગ છે. આ પ્રોગ્રામમાં અત્યાધુનિક વીડિયો માધ્યમનો ઉપયોગ કરીને બાળકોને સંવાદ કળા (Communication), સમયનું સુવ્યવસ્થિત આયોજન (Time Management) અને જીવનનું લક્ષ્ય નિર્ધારિત (Goal Setting) કરવા જેવી વિવિધ પાયાની કુશળતાઓનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. બાળકોના જીવન કૌશલ્યોને સુદ્રઢ બનાવી, તેમને સમાજમાં એક જવાબદાર અને શ્રેષ્ઠ નાગરિક તરીકે સ્થાપિત કરવામાં અપરાજીથા ફાઉન્ડેશન પાયાની અને પથદર્શક ભૂમિકા અદા કરી રહ્યું છે. અપરાજીથા ફાઉન્ડેશન ગુજરાતમાં 77 લાખ વિદ્યાર્થીઓ સાથે જીવન કૌશલ્યના વિડીયોના માધ્યમથી એમના જીવનમાં આમૂલ પરિવર્તન લાવી રહ્યું છે આ સાથે 54 હજારથી વધુ સ્કૂલો ગુજરાતની 'ટીમ ટીમ તારા પ્રોગ્રામ' અંતર્ગત જોડાયેલી છે જેમાં સરકારી સ્કૂલો, બાળ સુરક્ષા કેન્દ્રો,આ સિવાય જવાહર નવોદય સાથે સાથે કોર્પોરેશન સ્કૂલો તથા બી.એડ કોલેજોનો સમાવેશ થાય છે
અમેરિકાના પ્રતિબંધો છતાં ભારત રશિયા પાસેથી ઓઈલ-LPG ખરીદતું રહેશે, રિપોર્ટમાં દાવો
Indian Reply to USA : અમેરિકાએ તાજેતરમાં જ ભારત અને એશિયાના દેશોને ઝટકો આપતાં રશિયા અને ઈરાન પાસેથી ઓઈલ ખરીદવા સામે આપેલી 30 દિવસની રાહતને ખતમ કરી દીધી છે. હવે કોઈ પણ દેશ અમેરિકાના નિર્ણય વિરુદ્ધ ઓઈલ ખરીદી ચાલુ રાખશે તો તેની સામે પ્રતિબંધ મૂકવાની ધમકીઓ આપવામાં આવી છે. આ સૌની વચ્ચે ભારત સરકાર સાથે સંબંધિત સૂત્રોનો દાવો છે કે અમેરિકાના પ્રતિબંધોનો ડર છતાં ભારત રશિયા પાસેથી ઓઈલ અને એલપીજીની ખરીદી ચાલુ રાખશે. સૂત્રોએ કહ્યું કે ભારતની ઊર્જા નીતિ સંપૂર્ણ પણે ભારતનો આંતરિક મામલો છે અને અમેરિકાના પ્રતિબંધોથી તેને કોઈ લેવા દેવા નથી.
પાલનપુર કોર્ટ ખસેડવાના નિર્ણય સામે વકીલોનો રોષ:જોરાવર પેલેસથી જગાણા ખસેડવાની કવાયત સામે ધરણાં
બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલી કોર્ટોને જોરાવર પેલેસથી જગાણા ખસેડવાની કવાયત સામે વકીલ આલમમાં નારાજગી પ્રવર્તી રહી છે. આ નિર્ણયના વિરોધમાં આજે પાલનપુર બાર એસોસિએશન દ્વારા કોર્ટ સંકુલમાં ધરણાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પાલનપુર બાર એસોસિએશન છેલ્લા ઘણા સમયથી આ કોર્ટોને અન્ય જગ્યાએ ન ખસેડવા અને જોરાવર પેલેસમાં જ રાખવાની માંગ કરી રહ્યું છે. જોકે, તંત્ર દ્વારા આ માંગણી સ્વીકારવામાં ન આવતા વકીલોમાં રોષ જોવા મળ્યો છે. આજે કોર્ટ સંકુલમાં બાર એસોસિએશનના વકીલોએ ધરણાં પર બેસી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. તેમણે સ્પષ્ટ માંગ કરી હતી કે કોર્ટ સંકુલને જગાણા ખસેડવાની કવાયત રદ કરવામાં આવે. બાર એસોસિએશને એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે જો આ નિર્ણય રદ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં માત્ર વકીલો જ નહીં, પરંતુ પાલનપુરના સ્થાનિકોને સાથે રાખીને આંદોલનો શરૂ કરવામાં આવશે.
રાજ્યમાં 19-20 એપ્રિલે વરસાદની આગાહી:મહીસાગરમાં વાદળછાયા વાતાવરણથી ગરમીમાં રાહત
રાજ્યમાં હવામાન વિભાગે આગામી 19 અને 20 એપ્રિલે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન, 17 એપ્રિલે મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, જ્યાં વાદળછાયા વાતાવરણથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. હવામાન વિભાગ અનુસાર, 19 એપ્રિલે અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં વરસાદ પડી શકે છે. જ્યારે 20 એપ્રિલે અમરેલી, ભાવનગર, તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદની શક્યતા છે. જોકે, આગામી સાત દિવસ દરમિયાન મોટાભાગે હવામાન સૂકું રહેવાની સંભાવના છે અને મહત્તમ તાપમાનમાં ખાસ કોઈ ફેરફાર નહીં થાય. મહીસાગર જિલ્લામાં આકાશમાં વાદળો છવાઈ જતાં આકરા તાપમાંથી લોકોને રાહત મળી છે. દિવસભર વાદળછાયું વાતાવરણ રહેતા ગરમીનો પ્રકોપ ઘટ્યો છે. જોકે, આ બદલાયેલા વાતાવરણના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે. વાદળછાયા વાતાવરણ અને સંભવિત વરસાદથી કેરીના પાકને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજકોટ શહેર અને જિલ્લામાં 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાન થવાનું છે. જેમાં 20.23 લાખ મતદારો મતદાન કરવાના છે. જેમાં રાજકોટ કોર્પોરેશનમાં 9.85 લાખ મતદારો છે. જેને લઇને મતદાન મથકો ઉપર EVM સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેરમાં 1014 મતદાન મથકો પર EVM પહોંચી ગયા છે અને ત્યાં ઉમેદવારોના ફોટા અને ચૂંટણી નિશાનના સ્ટીકર ચોંટાડવામાં આવી રહ્યા છે. શહેરની ચૌધરી હાઈસ્કૂલમાં વોર્ડ નંબર 4,5 અને 6 નુ રીસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર રાખવામાં આવ્યું છે જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, તાલુકા તથા જિલ્લા પંચાયતો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડ ઉપરાંત રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો, 11 તાલુકા પંચાયતની 202 બેઠકો તેમજ ગોંડલ નગરપાલિકાના 11 વોર્ડની સામાન્ય ચૂંટણી-2026 માટે મતદાન મથકો, બેઠકો, ઈ.વી.એમ., ફરજ પરના સ્ટાફ તથા મતદારોની વિગતો સ્થાનિક ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ, રાજકોટ શહેર અને જિલ્લાનું મતદાન 26 એપ્રિલના રવિવારના રોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી થશે. જો જરૂર પડે તો પુન:મતદાન 27મી એપ્રિલે થશે. મતગણતરી 28મીએ થશે અને 30મી એપ્રિલે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે. રાજકોટ મહાનગરપાલિકામાં કુલ 1થી 18 વોર્ડમાં કુલ 9,85,952 મતદારો નોંધાયા છે. જેમાં 5,10,086 પુરૂષ મતદારો, 4,75,848 મહિલા મતદારો અને 18 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. શહેરમાં 1014 મતદાન મથકો નક્કી કરાયા છે. ચૂંટણી પ્રક્રિયા માટે 8,948 કર્મચારીઓ તૈનાત રહેશે. મતદાન માટે 1163 ઈ.વી.એમ. કંટ્રોલ યુનિટ (CU) અને 2326 બેલેટ યુનિટ (BU) ફાળવવામાં આવ્યા છે. ચૂંટણીના સુચારૂ સંચાલન માટે વર્ગ-1 કક્ષાના 8 ચૂંટણી અધિકારીઓ અને વર્ગ-2 કક્ષાના 22 મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો અને 11 તાલુકા પંચાયતોની 202 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. જેના માટે કુલ 1186 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે અને 8480 કર્મચારીઓને ચૂંટણી ફરજ પર મુકવામાં આવ્યા છે. મતદાન માટે 2675 ઈ.વી.એમ. કંટ્રોલ યુનિટ અને 2675 બેલેટ યુનિટનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણી માટે વર્ગ-2 કક્ષાના 22 ચૂંટણી અધિકારીઓ અને વર્ગ-3 કક્ષાના 22 મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. ગોંડલ નગરપાલિકાના 1થી 11 વોર્ડમાં કુલ 81,471 મતદારો છે. જેમાં 42235 પુરૂષ અને 39230 મહિલા તથા 6 અન્ય મતદારો છે. નગરપાલિકામાં 86 મતદાન મથકો માટે 1702 કર્મચારીઓ ફાળવવામાં આવ્યા છે. અહીં 113 ઈ.વી.એમ. કંટ્રોલ યુનિટ અને 226 બેલેટ યુનિટનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણી માટે વર્ગ-1 કક્ષાના બે અધિકારી તથા વર્ગ-2 કક્ષાના બે અધિકારીને ફરજ સોંપવામાં આવી છે. 11 તા.પં.ની 202 બેઠકો, જિ.પં.ની 36 બેઠકો માટે 1186 મતદાન મથકો રાજકોટ તાલુકા-જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી 2026 માટે તાલુકાવાર વિવિધ વિગતો નીચે મુજબ છે.રાજકોટ તાલુકા પંચાયતની 22 બેઠક અને જિ.પં.ની 6 બેઠકોની ચૂંટણી માટે 172 મતદાન મથકો નક્કી કરાયા છે. કુલ 1,34,482 મતદારો નોંધાયા છે. પડધરી તા.પં.ની 16 અને જિ.પં.ની 2 બેઠક માટે 88 મતદાન મથકોમાં 61595 મતદારો નોંધાયા છે. લોધિકા તા.પં.ની 16 અને જિ.પં.ની 2 બેઠક હેઠળ 63 મતદાન મથકોમાં 46602 મતદારો નોંધાયા છે.કોટડા સાંગાણી તા.પં.ની 16 અને જિ.પં.ની 2 બેઠક હેઠળ 85 મતદાન મથકોમાં 66075 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. ગોંડલ તા. પં. 22 અને જિ.પં.ની 5 બેઠક માટે 168 મતદાન મથકો નક્કી કરાયા છે અને 1,39,104 મતદારો નોંધાયા છે.જેતપુર તા.પં.ની 20 અને જિ.પં.ની 4 બેઠક હેઠળ ૧૨૪ મતદાન મથકોમાં 1,02,037 મતદારો નોંધાયા છે.જામકંડોરણા તા.પં.ની 16 અને જિ.પં.ની 2 બેઠક માટે 81 મતદાન મથકોમાં 60702 મતદારો નોંધાયા છે.ધોરાજી તા.પં.ની 16 અને જિ.પં.ની 2 બેઠક માટે 61 મતદાન મથકો નક્કી કરાયા છે અને 51795 મતદારો નોંધાયા છે.ઉપલેટા તા.પં.ની 18 અને જિ.પં.ની 3 બેઠક સાથે 91 મતદાન મથકો નક્કી કરાયા છે અને 73973 મતદારો નોંધાયા છે. જસદણ તા.પં.ની 22 અને જિ.પં.ની 5 બેઠક માટે 147 મતદાન મથકોમાં 1,24,646 મતદારો છે. વિંછીયા તા.પં.ની 18 અને જિ.પં.ની 3 માટે 109 મતદાન મથકોમાં 95511 મતદારો છે.આમ 11 તા.પં.ની કુલ 202 બેઠક અને જિ.પં.ની 36 બેઠક માટે 1189 મતદાન મથકો નક્કી કરાયા છે અને કુલ 9,56,522 મતદારો નોંધાયા છે. ગોંડલ નગર પાલિકામાં 11 વોર્ડમાં 86 મતદાન મથકો, 81471 મતદારો રાજકોટ જિલ્લાની ગોંડલ નગરપાલિકામાં 11 વોર્ડમાં 86 મતદાન મથકો નક્કી કરાયા છે અને 81471 મતદારો નોધાયા છે. જેમાં 42235 પુરુષ મતદારો, 39230 મહિલા મતદારો અને 6 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. વોર્ડ નંબર 1 માં 11 મતદાન મથકો ઉપર 4836 પુરુષ અને 4497 મહિલા મળીને કુલ 9333 મતદારો નોંધાયા છે. વોર્ડ નંબર 2 માં 7 મતદાન મથકો ઉપર 3426 પુરુષ અને 3226 મહિલા મળીને કુલ 6652 કુલ મતદારો નોંધાયા છે. વોર્ડ નંબર 3માં 10 મતદાન મથકો ઉપર 4668 પુરુષ અને 4233 મહિલા મળીને કુલ 8901 કુલ મતદારો નોંધાયા છે. વોર્ડ નંબર 4 માં 8 મતદાન મથકો ઉપર 3978 પુરુષ, 3792 મહિલા અને 6 અન્ય મળીને 7776 કુલ મતદારો નોંધાયા છે. વોર્ડ નંબર 5માં 7 મતદાન મથકો ઉપર 3139 પુરુષ, 2886 મહિલા મળીને 6025 કુલ મતદારો નોંધાયા છે.વોર્ડ નંબર 6 માં 6 મતદાન મથકો ઉપર 3139 પુરુષ, 2966 મહિલા મળીને કુલ 6105 કુલ મતદારો નોંધાયા છે. વોર્ડ નંબર 7 માં 6 મતદાન મથકો ઉપર 3569 પુરુષ, 3356 મહિલા મળીને 6925 કુલ મતદારો નોંધાયા છે. વોર્ડ નંબર 8 માં 8 મતદાન મથકો ઉપર 4094 પુરુષ, 3860 મહિલા મળીને 7954 કુલ મતદારો નોંધાયા છે. વોર્ડ નંબર 9માં 5 મતદાન મથકો ઉપર 2721 પુરુષ, 2540 મહિલા મળીને 5261 કુલ મતદારો નોંધાયા છે. વોર્ડ નંબર 10માં 9 મતદાન મથકો ઉપર 4463 પુરુષ, 4130 મહિલા મળીને 8593 કુલ મતદારો નોંધાયા છે. વોર્ડ નંબર 11માં 9 મતદાન મથકો ઉપર 4202 પુરુષ, 3744 મહિલા મળીને 7946 કુલ મતદારો નોંધાયા છે.

30 C