અભિષેક ફરી ફેલ, ‘સુંદર’ પ્રયોગ નિષ્ફળ... ભારતને આ 5 ભૂલો ભારે પડી, ગુમાવી સુપર-8ની પ્રથમ મેચ
ICC T20 World Cup 2026, Super 8 Match, India vs South Africa : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની સુપર-8 મેચમાં ટીમ ઈન્ડિયાનો શરમજનક પરાજય થયો છે. દક્ષિણ આફ્રિકાએ આપેલા 188 રનના લક્ષ્યાંક સામે ભારતીય ટીમ માત્ર 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને 76 રને મેચ ગુમાવી હતી. આ સાથે ભારતે સુપર-8માં પોતાની ત્રણ મેચોમાંથી એક મેચ ગુમાવી દીધી છે. આ હાર સાથે ભારતનું નેટ રન રેટ પણ બગડ્યું છે, જે સેમીફાઈનલની આશા માટે મોટો ફટકો સામાન છે. આ પરાજય પાછળના મુખ્ય કારણો નીચે મુજબ રહ્યા છે.
દુઘવાડામાં આંતરરાષ્ટ્રીય રક્તદાન કેમ્પ યોજાયો:ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ દીપ પ્રગટાવી શુભારંભ કરાવ્યો
ભગવાન સ્વામિનારાયણ દ્વારા ધોલેરા ખાતે મદનમોહનજી મહારાજની સ્થાપનાના 200 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં, પ.પૂ.સ.ધ.ધુ. 1008 આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી દુઘવાડા ગામે આંતરરાષ્ટ્રીય મહા રક્તદાન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ માનવસેવા અને સામાજિક જાગૃતિના ઉદ્દેશ્ય સાથે દેશ-વિદેશમાં યોજાઈ રહેલી વિવિધ પ્રવૃત્તિઓનો એક ભાગ હતો. આ કેમ્પનો શુભારંભ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા દીપ પ્રગટાવીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગામના સરપંચ મીનાબેન પટેલ અને શ્રી સ્વામિનારાયણ મંદિર દૂધવાડાના કોઠારી મુકેશભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કોઠારી મુકેશભાઈએ પોતાના સંબોધનમાં રક્તદાનને મહાદાન ગણાવી દરેક નાગરિકને નિયમિત રક્તદાન કરવા પ્રેરિત કર્યા હતા. આ રક્તદાન કેમ્પનું આયોજન શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ અને બ્લડ બેંકના સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. દુઘવાડા ગામના ગ્રામજનો અને હરિભક્તોએ આ કેમ્પમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને રક્તદાન કર્યું હતું, જેનાથી માનવસેવાની અનોખી ભાવના વ્યક્ત થઈ હતી. ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય મહા રક્તદાન કેમ્પ તા. 22 ફેબ્રુઆરીના રોજ એક જ તારીખે અને એક જ સમયે ગુજરાતના અનેક જિલ્લાઓ તેમજ મુંબઈ અને પૂના શહેરોમાં પણ યોજાયો હતો.
પાળીયાદ પાંજરાપોળને ₹51,000નું અનુદાન મળ્યું:ભારતીબેન ગોપાણીની પુણ્યતિથિ નિમિત્તે અબોલ પશુઓ માટે દાન
પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટને અબોલ પશુઓના કલ્યાણ અર્થે ₹51,000નું અનુદાન પ્રાપ્ત થયું છે. આ અનુદાન મુંબઈ નિવાસી ભારતીબેન ગુણવંતભાઈ ગોપાણીની ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર દ્વારા અર્પણ કરાયું છે. ભારતીબેન મૂળ પાળીયાદના વતની હતા. આ અનુદાનનો ઉપયોગ પાંજરાપોળમાં આશ્રિત અબોલ પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવશે. પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટના ટ્રસ્ટીગણ તેમજ સેવાભાવી ટીમે ભારતીબેનને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને જીવદયાના આ સેવાકીય કાર્ય બદલ દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પુણ્યતિથિ નિમિત્તે, બાબરકોટ સ્કૂલ અને દરબારગઢ પાળીયાદ સ્કૂલના બાળકો માટે બટુક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
વડોદરાના મકરપુરા ગામ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવસેવા અને સામાજિક જાગૃતિના ઉદ્દેશ્ય સાથે 22 ફેબ્રુઆરીના રોજ સવારે 7:30 કલાકથી આ કેમ્પ યોજાયો હતો. આ શિબિર ભગવાન સ્વામિનારાયણ દ્વારા ધોલેરા ખાતે મદનમોહનજી મહારાજની સ્થાપનાના 200 વર્ષ પૂર્ણ થવાના પાવન ઉપલક્ષમાં યોજાઈ હતી. પ.પૂ.સ.ધ.ધુ. 1008 આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી દેશ-વિદેશમાં વસતા ભક્તો દ્વારા આવી માનવસેવાલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મહારક્તદાન કેમ્પ એક જ તારીખે અને એક જ સમયે ગુજરાતના અનેક જિલ્લાઓ જેવા કે સુરત, વલસાડ, નવસારી, બારડોલી, અંકલેશ્વર, નર્મદા, ભરૂચ, વડોદરા, ગોધરા, આણંદ, ખેડા, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, રાજકોટ, જામનગર તેમજ મુંબઈ અને પૂના શહેરોમાં પણ યોજાયો હતો. વડોદરાના મકરપુરા ગામ ખાતેના સ્વામિનારાયણ મંદિરમાં આયોજિત શિબિરનો શુભ પ્રારંભ વડોદરા મહાનગર સેવાસદનના પૂર્વ સ્થાયી કમિટીના ચેરમેન ડૉ. હિતેન્દ્ર પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભાજપ મહામંત્રી લકુલેશ ત્રિવેદી અને પૂર્વ ડેપ્યુટી મેયર ડૉ. જીવરાજ ચૌહાણ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ રક્તદાનના મહત્ત્વ અંગે માર્ગદર્શન આપી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. સ્વામિનારાયણ મંદિર, મકરપુરાના કોઠારી પરસોતમ દાસકાકાએ પોતાના સંબોધનમાં રક્તદાનની મહત્તા સમજાવી હતી. તેમણે જણાવ્યું હતું કે રક્તદાન માનવજીવન બચાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે અને દરેક સ્વસ્થ નાગરિકે નિયમિત રક્તદાન કરવું જોઈએ. આ શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉત્સાહભેર જોડાયા હતા અને સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. માનવસેવા અને સામાજિક જાગૃતિના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ શિબિરને સારો પ્રતિસાદ મળ્યો હતો.
ગુજરાત રાજ્યમાં દર વર્ષે સર્પદંશથી થતા માનવ મૃત્યુને ઘટાડવા માટે રાજ્ય સરકારે મહત્વનું પગલું ભર્યું છે. વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે સ્થાપિત 'સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SRI)'માં ગુજરાતમાં જોવા મળતા ઝેરી સાપોમાંથી જ એન્ટિવેનમ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ સંસ્થાએ તાજેતરમાં રાજ્યની ચાર મુખ્ય ઝેરી સાપની પ્રજાતિઓના લાયોફિલાઇઝ્ડ (પાવડર સ્વરૂપ) ઝેરની ઈ-હરાજી કરી હતી, જેની ગુણવત્તા એટલી ઉત્તમ હતી કે ધાર્યા કરતાં પણ વધુ ઊંચી કિંમત મળી હતી. સર્પદંશના કેસમાં તાત્કાલિક અને અસરકારક સારવાર મળી શકશેઆ સંશોધન કેન્દ્રમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સાપમાંથી કાઢવામાં આવેલા ઝેરને પાવડર સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે, જેનો ઉપયોગ એન્ટિવેનમ બનાવવા માટે થશે. આ પદ્ધતિથી રાજ્યમાં ઉપલબ્ધ એન્ટિવેનમની ગુણવત્તા અને ઉપલબ્ધતામાં વધારો થશે, જેનાથી સર્પદંશના કેસમાં તાત્કાલિક અને અસરકારક સારવાર મળી શકશે. સર્પ સંશોધન કેન્દ્ર બનાવવા માટે ₹11.68 કરોડનો પ્રસ્તાવ આ સંસ્થાને વર્લ્ડ-ક્લાસ લેવલનું સર્પ સંશોધન કેન્દ્ર બનાવવા માટે ₹11.68 કરોડનો પ્રસ્તાવ ગુજરાત સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ મંજૂર થતાં જ સંસ્થાના વિસ્તરણ, અદ્યતન લેબોરેટરી અને સંશોધન સુવિધાઓમાં વધારો થશે. રાજ્ય સરકારના આ પગલાને લઈને સર્પદંશના શિકાર બનેલા ગ્રામીણ વિસ્તારોના લોકોમાં આશાનું કિરણ જાગ્યું છે. સર્પદંશથી થતા મૃત્યુમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે આ કેન્દ્ર ગુજરાતના ઝેરી સાપોના સંશોધન, એન્ટિવેનમ ઉત્પાદન અને જાગૃતિ કાર્યક્રમોમાં મહત્વની ભૂમિકા ભજવશે. નિષ્ણાતોના મતે આ પહેલથી રાજ્યમાં સર્પદંશથી થતા મૃત્યુમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
ગુજરાતમાં વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે ખેડૂતોની ચિંતામાં ધરખમ વધારો થયો છે. આજે રાત્રિના સમયે વિસાવદર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે અચાનક કમોસમી વરસાદ (માવઠું) શરૂ થયો છે. રાત્રે આકાશમાં કાળાડિબાંગ વાદળોની ગર્જના સાથે વરસાદી ઝાપટા પડવાના શરૂ થતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. બપોરે વાતાવરણમાં પલટો બાદ રાત્રિના વરસાદી ઝાપટુંવિસાવદરમાં આજે સવારથી જ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો હતો, પરંતુ બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. આખું બપોર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ રાત્રિના સમયે પવન સાથે વરસાદી ઝાપટા શરૂ થયા હતા. વિસાવદર શહેર ઉપરાંત તાલુકાના છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ ચાલુ હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં પડતા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ ખેડૂતો માટે આ 'આફતનો વરસાદ' સાબિત થઈ રહ્યો છે. ખેડૂતોમાં પાકોને મોટું નુકસાન થવાની ભીતિહાલ ખેતરોમાં રવિ પાક તૈયાર થવાની અણી પર છે અથવા તો લણણીની પ્રક્રિયા ચાલી રહી છે. કમોસમી વરસાદને કારણે ખાસ કરીને ઘઉં, ચણા, તુવેર, ધાણા અને જીરા જેવા પાયાના પાકોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જો વરસાદનું જોર વધશે તો તૈયાર પાક પલળી જવાથી કાળો પડી શકે છે અથવા ખેતરમાં જ સડી જવાની શક્યતા રહેલી છે. મોંઘા ભાવના બિયારણ અને રાત-દિવસની મહેનત બાદ જ્યારે પાક હાથમાં આવવાનો સમય થયો છે, ત્યારે કુદરતી આફતે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઘાસચારો પલળી જવાથી માલધારીઓની મુશ્કેલીમાં વધારોમાર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલો ખેડૂતોનો માલ અને ખેતરોમાં કાપીને રાખેલો પાક બચાવવો અત્યારે મુશ્કેલ બની રહ્યો છે. પશુઓ માટેનો ઘાસચારો પણ પલળી જવાથી માલધારીઓની મુશ્કેલીમાં પણ વધારો થશે. વિસાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ વાદળછાયું વાતાવરણ યથાવત છે અને વધુ વરસાદની સંભાવનાને પગલે ખેડૂતો ભગવાન પાસે આ આફત ટળે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
ગોધરામાં કારના કાચ તોડનાર સગીરો પર કાર્યવાહી:CCTV ફૂટેજથી ઓળખ, બે બાઇક જપ્ત; વાલીઓ સામે ગુનો
ગોધરાના વ્હોરવાડ વિસ્તારમાં કારના કાચ તોડવાના મામલે પોલીસે કાર્યવાહી કરી છે. સીસીટીવી ફૂટેજના આધારે સગીરોની ઓળખ કરીને તેમના વાલીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે બે બાઇક પણ જપ્ત કરી છે. આ કાર્યવાહી દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ બાદ ગોધરા બી-ડિવિઝન પોલીસે હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ કરીને પથ્થરમારો કરનાર સગીરોને ઓળખી કાઢ્યા હતા. આ ઘટના ગત શુક્રવારે મોડી રાત્રે વ્હોરવાડના ફખરી ચોક અને આમલી ફળિયા વિસ્તારમાં બની હતી. અજાણ્યા બાઇક સવાર સગીરોએ ઘર આંગણે પાર્ક કરેલી બે લક્ઝરી કાર પર પથ્થરમારો કર્યો હતો, જેના કારણે કારના કાચ તૂટી ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલે જિલ્લાના શહેર અને તાલુકા માટે નવા પ્રભારીઓની નિમણૂક કરી છે. આ નિમણૂકો બોટાદ, ગઢડા, રાણપુર અને બરવાળાના વિવિધ વિસ્તારો માટે કરવામાં આવી છે. આ નિમણૂકોમાં બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખના પતિ પાલજી પરમારને બરવાળા ગ્રામ્યના પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. બોટાદ ગ્રામ્યના પ્રભારી તરીકે વિજય ખાચર અને ચંદ્રકાંત લાઠીગરાની નિમણૂક કરાઈ છે. ગઢડા શહેર માટે રમેશ ચાવડા અને ગઢડા ગ્રામ્ય માટે ચંદ્રકાંત સાવલીયાને પ્રભારી બનાવાયા છે. બરવાળા શહેરના પ્રભારી તરીકે પ્રભાતસંગની નિમણૂક થઈ છે. જ્યારે રાણપુર શહેર માટે રામજી માગુડા અને રાણપુર ગ્રામ્ય માટે હિંમત મેરને પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
તલોદ નજીક SMCએ દારૂ ભરેલી કાર ઝડપી:રાજસ્થાનથી નડિયાદ લઈ જવાતો લાખોનો દારૂ પકડાયો
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પનાપુર નજીકથી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે વિદેશી દારૂ ભરેલી એક કાર અને તેના ચાલકને ઝડપી પાડ્યો છે. આ દારૂનો જથ્થો રાજસ્થાનથી નડિયાદ લઈ જવામાં આવી રહ્યો હતો. SMCએ કુલ રૂ. 9,99,786નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, SMCને તલોદના રોજથી તેનપુર રોડ પર પનાપુર પાસેથી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે ટીમે વોચ ગોઠવીને એક કારને અટકાવી તપાસ કરી હતી. તપાસ દરમિયાન કારમાંથી રૂ. 4,94,768ની કિંમતની 1715 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. દારૂના જથ્થા ઉપરાંત, SMCએ રૂ. 5 લાખની કિંમતની કાર અને એક મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો હતો. આ પ્રકરણમાં પકડાયેલા ચાલક સહિત કુલ છ વ્યક્તિઓ વિરુદ્ધ તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીનું નામ દિનેશભાઈ ખાલ્યાભાઈ હોતા છે, જે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના બિછીવાડા તાલુકાના શીશોદ ગામનો રહેવાસી છે. આ કેસમાં ફરાર થયેલા અન્ય પાંચ આરોપીઓમાં ઉદેપુર, રાજસ્થાનના દારૂ સપ્લાયર રવીબાપુ ઉર્ફે પંડિતજી અને અજીતબાપુ ઉર્ફે જુવાનસિંહ, ગૌતમ પટેલ, મારુતિ સઝુકીનો માલિક અને નડિયાદમાં દારૂનો જથ્થો લેનાર અજાણ્યો શખ્સ સામેલ છે.
રાજકોટમાં મવડી પાળ રોડ પર ગોલ ટ્વીન બિલ્ડીંગ પાસે પાર્ક કરેલી કારમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. છેલ્લા બે દિવસથી કાર ત્યાં પાર્ક કરેલી હતી. દુર્ગંધ આવતા આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી 108 એમ્બ્યુલન્સ મારફત મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. કાર નંબરના આધારે મૃતકની ઓળખ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ઝેરી દવા પીધી હોવાનું સામે આવ્યું છે જો કે વધુ તપાસ ચાલુ છે. પ્રોફોબિશનનો આરોપી પાસા હેઠળ અમદાવાદ જેલમાં ધકેલાયો રાજકોટ શહેરના નવા ગામમાં રહેતો અને ડ્રાઇવિંગ કરતો 30 વર્ષીય દર્પણ યોગેશ કાગદડા રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના હાથે બે વખત વિદેશી દારૂ ના ગુનામાં ઝડપાઈ ચુક્યો છે અને તેની સામે રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન, ગોંડલ અને અમદાવાદ ગ્રામ્યના બગોદરા પોલીસ સ્ટેશનમાં ગૂનો નોંધાઈ ચૂક્યો છે. જેથી રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી વિરુદ્ધ પાસા દરખાસ્ત પોલીસ કમિશનરને કરવામાં આવેલી હતી. જે મંજૂર થતા આરોપીને પાસા હેઠળ અમદાવાદ મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. રાજકોટ - અમદાવાદ હાઈવે પર પગપાળા રોડ ક્રોસ કરતા યુવાનનું કાર હડફેટે મોત રાજકોટ - અમદાવાદ હાઈવે પર માલીયાસણ પાસે પગપાળા રસ્તો ઓળંગતા પરપ્રાંતીય યુવાનને પૂરપાટ ઝડપે જતી કારે હડફેટે લીધો હતો. જેથી તેનું લોહીલુહાણ હાલતમાં ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતુ. મૂળ તમિલનાડુના અને રાજકોટના માલીયાસણમાં રહી પ્રાઇવેટ નોકરી કરતા રઘુપતિ વેગડુસ્વામી ચટ્ટીયારે કુવાડવા પોલીસ મથકમાં સ્વિફ્ટ ફોર વ્હીલ (GJ-03-PA-2900)ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, 21 ફેબ્રુઆરીના સાંજે 8.30 વાગ્યે તેમના મિત્ર મણીખંડન કાલીયાપન ઉ.વ.48, રહે.તમિલનાડુ) પગપાળા રાજકોટ-અમદાવાદ હાઇવે રોડ ક્રોસ કરતા હતા ત્યારે માલીયાસણ ગામ પાસે સ્વિફ્ટ ફોર વ્હીલના ચાલકે પોતાની કાર પુર ઝડપે બેફકીરાઇથી ચલાવી મિત્રને હડફેટે લીધા હતા. જેથી તેને માથા તથા શરીરે ગંભીર ઇજા પહોંચી હતી અને સ્થળ પર જ તેમનું મૃત્યુ નિપજ્યુ હતુ. જેથી પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગૂનો નોંધી તેને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. પરિવાર લગ્ન પ્રસંગમાં ગયો અને ચોરે રૂ.1.62 લાખનો હાથફેરો કર્યો રાજકોટ શહેરના રેલનગરના રાધિકા રેસીડેન્સી શેરી નં.1 માં રહેતા 37 વર્ષીય અનીલભાઈ નાનજીભાઈ મનાણી જાતે- કડીયાએ પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 19 ફેબ્રુઆરીના સાંજે 5.30 વાગ્યે પોતે પરિવાર સહિત અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા. જે બાદ 21 ફેબ્રુઆરીના સાંજે 5 વાગ્યે અમદાવાદથી ઘરે આવતા ઘરના દરવાજાનો નકુચો તૂટેલો હતો અને કબાટનો લોકર પણ તૂટેલો હતો. જે બાદ તપાસ કરતા અજાણ્યો શખ્સ લોકરમાં રાખેલા રોકડ રૂ.1.50 લાખ, રૂ.7000 ની કિંમતના ચાંદીના સાંકળાની જોડ, અને રૂ.5600 ના ચાંદીના કડલીની જોડ મળી રૂ.1,62,600 ની ચોરી થઈ ગઈ હતી. જેથી પોલીસે ચોરી કરતા શખ્સને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
સુરત શહેરના જાણીતા ઉદ્યોગપતિ ગજેરા બંધુઓની મુશ્કેલીમાં ધરખમ વધારો થયો છે. ગુજરાત હાઈકોર્ટના કડક વલણ અને આદેશ બાદ સુરત આર્થિક ગુના નિવારણ શાખાએ ગજેરા બંધુઓ અને તેમના મળતિયાઓ વિરુદ્ધ કરોડો રૂપિયાની છેતરપિંડી, દસ્તાવેજોમાં ફોર્જરી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કર્યો છે. શાંતી રેસીડેન્સી પ્રા. લિમીટેડમાં ફરિયાદીની જાણ બહાર તેમની ખોટી સહીઓ કરી, કરોડોની ઉચાપત કરી હોવાની વિગતો બહાર આવતા રિયલ એસ્ટેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. હાઈકોર્ટના આદેશથી હરકતમાં આવેલી પોલીસ લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની લડાઈ બાદ અંતે હાઈકોર્ટે તપાસના આદેશ આપતા સુરત ઇકો સેલે આ મામલે સક્રિયતા દાખવી છે. ફરિયાદી પ્રવિણ દેવકીનંદન અગ્રવાલની ફરિયાદને આધારે ચુનીભાઇ હરીભાઇ ગજેરા, વસંત હરીભાઇ ગજેરા, અશોકભાઇ હરીભાઇ ગજેરા સહિત કુલ 8થી વધુ શખ્સો સામે આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સત્તાના જોરે ફરિયાદીને ડિરેક્ટર પદેથી ઘરભેગા કર્યા ફરિયાદ મુજબ, ફરિયાદી પ્રવિણ અગ્રવાલ શાંતી રેસીડેન્સીમાં ડિરેક્ટર તરીકે કાર્યરત હતા. જોકે, ગજેરા બંધુઓએ સુઆયોજિત કાવતરું રચી 1 જાન્યુઆરી 2015ના રોજ ફરિયાદીના નામનો એક બોગસ રાજીનામું આપતો લેટર તૈયાર કર્યો હતો. આ લેટરમાં ફરિયાદીની ખોટી સહીઓ કરવામાં આવી હતી અને તેને આધારે તેમને કંપનીના ડિરેક્ટર પદેથી દૂર કરી દેવામાં આવ્યા હતા. બોગસ ડિજિટલ સહીનો ઉપયોગ કરી ROCમાં છેતરપિંડી આરોપીઓએ માત્ર કાગળ પર જ નહીં, પરંતુ ટેકનોલોજીનો દુરુપયોગ કરી સરકારી રેકોર્ડમાં પણ ચેડાં કર્યા હતા. (n) CODE SOLUTIONS ના ડીલર ગૌતમ પ્રજાપતિની મદદથી બોગસ ડિજિટલ સહીઓ ઉભી કરવામાં આવી હતી. આ સહીઓના આધારે રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ (ROC) માં ખોટા દસ્તાવેજો અપલોડ કરી સરકારી તંત્રને પણ ગેરમાર્ગે દોરવામાં આવ્યું હતું. શેર હોલ્ડિંગમાં મસમોટી ગેરરીતિ આચરી કંપનીના શેર હોલ્ડિંગમાં ફેરફાર કરવા માટે પણ રાકેશ ગજેરાએ ફરિયાદી, તેમની પત્ની શીતલ અગ્રવાલ અને પિતા દેવકીનંદન અગ્રવાલની ખોટી સહીઓ ઇક્વિટી શેર ઓફર લેટરમાં કરી હતી. આ રીતે ફરિયાદીના પરિવારનો કંપનીમાં રહેલો હિસ્સો ગેરકાયદેસર રીતે ઘટાડી દઈ આરોપીઓએ પોતાનો આર્થિક ફાયદો મેળવ્યો હતો. જંત્રીના ભાવે દસ્તાવેજો બનાવી રૂ. 147 કરોડનો અંગત લાભ તપાસમાં બહાર આવ્યું છે કે ‘મિલેનીયમ-02’ અને ‘મિલેનીયમ-04’ પ્રોજેક્ટની અંદાજે 185 દુકાનોના વેચાણમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. કંપનીમાં માત્ર જંત્રી મુજબનો જ અવેજ દર્શાવવામાં આવતો હતો, જ્યારે જંત્રી સિવાયની આશરે 84% રકમ (રૂ. 1,47,64,49,000) ડાયરેક્ટરોએ કંપનીમાં દર્શાવ્યા વગર જ પોતાના ખિસ્સામાં ભરી લીધી હતી. કુલ રૂ. 1928.39 કરોડની ફોર્જરીનો આંકડો સામે આવ્યો આ આખું કૌભાંડ કોઈ નાનું-સૂનું નથી. પોલીસ ફરિયાદ મુજબ, આરોપીઓએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી કંપનીમાંથી કુલ રૂ. 19,28,39,69,000 (ઓગણીસો અઠ્ઠાવીસ કરોડ ઓગણચાલીસ લાખ ઓગણસીતેર હજાર) ની રકમની ફોર્જરી આચરી છે. આ રકમની ઉચાપત કરી વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. ફરિયાદીને જેલમાં મોકલી દેવાની અને જાનથી મારવાની ધમકી જ્યારે ફરિયાદીને આ કૌભાંડની ગંધ આવી અને તેમણે વિરોધ કર્યો, ત્યારે ગજેરા બંધુઓએ તેમને ડરાવવા-ધમકાવવાનું શરૂ કર્યું હતું. ફરિયાદીને ખોટા ક્રિમિનલ કેસમાં ફસાવી આખી જિંદગી જેલમાં સબડાવવાની અને જો પોલીસ કાર્યવાહી કરશે તો પરિવાર સમેત જાનથી પતાવી દેવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી. ગજેરા બંધુઓનો જૂનો ગુનાહિત ઇતિહાસ ગજેરા બંધુઓ માટે પોલીસ સ્ટેશનના પગથિયાં નવા નથી. તેમની વિરુદ્ધ અગાઉ કતારગામ પોલીસ સ્ટેશનમાં 4 ગુના, ઉમરા પોલીસ સ્ટેશનમાં 2 ગુના અને ડીસીબી પોલીસ સ્ટેશનમાં પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જેમાં ફોર્જરી, છેતરપિંડી અને કાવતરા જેવી કલમોનો સમાવેશ થાય છે. ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) ની પણ તવાઈ આર્થિક ગુનાઓ ઉપરાંત, ગજેરા પરિવાર સામે મની લોન્ડરિંગનો કેસ પણ ચાલી રહ્યો છે. મુંબઈ ઝોનલ ઓફિસ દ્વારા PMLA (Prevention of Money Laundering Act) હેઠળ તેમની સામે સ્પેશિયલ કેસ નોંધવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે તેમના આર્થિક વ્યવહારો રાષ્ટ્રીય તપાસ એજન્સીઓના રડાર પર છે. ઇકો સેલ દ્વારા તપાસનો ધમધમાટ તેજ હાલમાં ડીસીબી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 409, 465, 467, 468, 471, 386, 120(બી) સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ સુરત ઇકો સેલને સોંપવામાં આવી છે. આગામી દિવસોમાં આ મસમોટા કૌભાંડમાં વધુ કેટલાક નામો અને નવી વિગતો બહાર આવવાની પૂરેપૂરી શક્યતા છે.
સુરત શહેરના વરાછા વિસ્તારમાં શાળાએ જતા બાળકોને નિશાન બનાવી તેમને ડરાવી-ધમકાવી બળજબરીથી પૈસા પડાવતા અસામાજિક તત્વો સામે વરાછા પોલીસે લાલ આંખ કરી છે. પોલીસ કમિશનરની કડક સૂચના બાદ હરકતમાં આવેલી પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ કાર્યવાહીથી વાલીઓ અને વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો છે. ટપોરીઓ બાળકોના ખિસ્સાખર્ચના પૈસા ને કિંમતી વસ્તુઓ બળજબરીથી પડાવી લેતાછેલ્લા કેટલાક દિવસોથી વરાછા વિસ્તારની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ તરફથી એવી ફરિયાદો ઉઠી હતી કે, કેટલાક ટપોરી અને અસામાજિક તત્વો સ્કૂલ છૂટતી વખતે અથવા ભણવા જતી વખતે વિદ્યાર્થીઓને રસ્તામાં રોકી તેમને ધમકાવતા હતા. આ શખ્સો બાળકો પાસે રહેલા ખિસ્સાખર્ચના પૈસા કે અન્ય કિંમતી વસ્તુઓ બળજબરીથી પડાવી લેતા હતા. બાળકો એટલા ડરેલા હતા કે તેઓ ઘરે વાત કરતા પણ અચકાતા હતા. જોકે, આ બાબત પોલીસના ધ્યાને આવતા તેને ગંભીરતાથી લેવામાં આવી હતી. પોલીસની ટીમે ટેક્નિકલ સર્વેલન્સની મદદ લીધીસુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા શહેરમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા હતા. તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં સૂચના આપી હતી કે, શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ ફરતા આવા તત્વો સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવવામાં આવે. આ આદેશનો અસરકારક અમલ કરતા વરાછા પોલીસની ટીમે બાતમીદારોનું નેટવર્ક સક્રિય કર્યું અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી હતી. મોજશોખ પૂરા કરવા માટે બાળકોને નિશાન બનાવતા હતાવરાછા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, બાળકોને ધમકાવતા શખસો કુબેરનગર પોપડા વિસ્તારમાં હાજર છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડીને ત્રણ આરોપીઓ રોશન ઘોળકીયા, ભાવિક લાડુમોર અને મીત ખુન્ટને ઝડપી પાડ્યા હતા. આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેઓ મોજશોખ પૂરા કરવા માટે બાળકોને નિશાન બનાવતા હતા. ‘અમે બાળકોને સ્કૂલે પણ મોકલતા ડરતા હતા’ - વાલીપોલીસે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 308(5) અને કલમ-54 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વરાછા પોલીસની આ કામગીરીના વખાણ કરવામાં આવી રહ્યા છે. એક વાલીએ જણાવ્યું હતું કે, “અમે બાળકોને સ્કૂલે મોકલતા ડરતા હતા પણ પોલીસની આ કામગીરીએ અમને ફરી સુરક્ષાનો અહેસાસ કરાવ્યો છે.”
વડોદરાની વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરો પર કોઈ પ્રકારનુ જોખમ ઉભું થયું છે. એક તરફ મગરોને વિશ્વામિત્રી નદીમાંથી બહાર કાઢવાની વાતો થઈ રહી છે, ત્યારેઆજે વિશ્વામિત્રી નદીમાંથી મહાકાય મગરનો મૃતદેહ મળી આવ્યો છે. આ રીતે મગરના થઈ રહેલા મોતના કારણે મગરોના અસ્તિત્વ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વમિત્રી નદીમાં છેલ્લા કેટલાક દિવસથી સતત મગરોના મોત થઈ રહ્યા છે. જેને કારણે મગરના અસ્તિત્વ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. વિશ્વામિત્રી નદીમાં અંદાજે 417 જેટલા મગરો છે. આ ઉપરાંત વડોદરા શહેર જિલ્લામાં નદીઓ અને તળાવોમાં મળીને 1000થી વધુ મગરો છે. વિશ્વામિત્રી નદીના મગરોના જીવ ઉપર સંકટ તોળાઈ રહ્યું છે. જેથી હવે વડોદરા વાસીઓ મગરોને બચાવવાની વાત કરી રહ્યા છે. જીવદયા પ્રેમી હેમંતકુમાર વઢવાણાએ જણાવ્યું હતું કે, અમારા હેલ્પલાઇન નંબર ઉપર એક ફોન આવ્યો હતો કે, અકોટા બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાં કિનારા ઉપર એક મગર પડ્યો છે. એવી જાણ કોઈ જાગૃત નાગરિકે બ્રિજ ઉપરથી મગરને જોઈને અમને જાણ કરી હતી. અમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને જોયું કે નદીના કિનારા પર એક મગર પડ્યો હતો. તેની લંબાઈ આશરે સાડા ત્રણથી ચાર ફૂટ જેટલી છે. કમનસીબે, આ મગર મૃત અવસ્થામાં મળી આવ્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મેં તરત જ વન વિભાગને જાણ કરી દીધી હતી. વન વિભાગની ટીમ પણ આવી પહોંચી હતી. અમે મૃત મગરને નદીમાંથી બહાર કાઢી લીધો હતો. મૃત્યુના કારણ અંગે અત્યારે તો કંઈ કહી શકાય તેમ નથી. મગરના મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ જાણવા મળશે. અમે મૃત મગરને આગળની કાર્યવાહી માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સુપરત કર્યો છે. મગર શેડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી 4 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે.
મોરબી તાલુકાના જેતપર અને રાપર ગામ વચ્ચે એક માર્ગ અકસ્માતમાં બે યુવાનોના કરૂણ મોત થયા છે. ક્રેટા કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પાણી ભરેલા નાળામાં ખાબકી હતી. આ ઘટનામાં કારમાં સવાર મોરબીના મહેન્દ્રનગર ગામના બે યુવાનોને ગંભીર ઈજાઓ થઈ હતી. મૃતકોની ઓળખ મહેન્દ્રનગર ગામના નિલેશભાઈ પ્રાણજીવનભાઈ કાનાણી (ઉંમર 34) અને ભીખાભાઈ નીતિનભાઈ તલસાણીયા (ઉંમર 30) તરીકે થઈ છે. તેઓ GJ 36 F 6095 નંબરની ક્રેટા કારમાં જઈ રહ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડની બાજુમાં આવેલા પાણી ભરેલા નાળામાં ખાબકી હતી. અકસ્માત થતા જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા બંને યુવાનોને તાત્કાલિક જેતપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હિંમતનગર મહેતાપુરામાં હિંદુ સંમેલન યોજાયું:દીપ પ્રાગટ્યથી શરૂઆત, ભારત માતાની આરતી સાથે સમાપ્તિ
હિંમતનગરના મહેતાપુરા એનજી સર્કલ ખાતે બ્રહ્માણીનગર વસ્તીનું હિંદુ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં મહેતાપુરાના રહીશો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ હતી અને ભારત માતાની આરતી સાથે તેનું સમાપન થયું હતું. આ સંમેલનમાં બ્રહ્માણીનગરના બે, રાધેગોવિંદનું એક અને શાંતિઉપવનનું એક એમ કુલ ચાર ભજન મહિલા મંડળો દ્વારા ભજન રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને આયોજક દ્વારા શાબ્દિક સ્વાગત કરાયું હતું. દુર્ગા સ્તુતિ અને વંદે માતરમ બાદ મંચસ્થ મહાનુભાવોનો પરિચય કરાવવામાં આવ્યો હતો. આ સંમેલનમાં સંત લક્ષ્મણભારતી, હંસરાજભાઈ સાંખલા, મધુબેન ભગોરા, સુરેશભાઈ વાઘેલા, હિતેશભાઈ પટેલ અને રોહિતસિંહ રહેવરનું પુષ્પગુચ્છ અને પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન દીકરીઓ દ્વારા સમૂહગાન રજૂ કરાયું હતું. દેવાંશી સોરઠીયાએ ભારત ગૌરવ ગાથા રજૂ કરી હતી, જ્યારે મહેતાપુરા વિવેકાનંદ પાઠદાન કેન્દ્ર દ્વારા દેશભક્તિનું ગીત અને માધવ પાઠદાન કેન્દ્ર દ્વારા 'સંદેશે આતે હૈ' ગીત રજૂ કરવામાં આવ્યું હતું. વિશેષ અતિથિઓ હંસરાજભાઈ સાંખલા, સુરેશભાઈ વાઘેલા અને મધુબેન ભગોરાએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. મુખ્ય વક્તા હિતેશભાઈ પટેલે હિંદુ વિશેની વાતનો વિષય સાથે આરએસએસની સ્થાપના, તેની કામગીરી અને ઉદ્દેશ્ય વિશે પ્રવચન આપ્યું હતું. સંયોજક રોહિતસિંહ રહેવરે આભારવિધિ કરી હતી. અંતમાં સંઘ પ્રાર્થના બાદ ઉપસ્થિત સૌએ ભારત માતાની આરતી કરી સંમેલનનું સમાપન કર્યું હતું.
સામાન્ય રીતે સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ લોકો આરામદાયક જીવન પસંદ કરતા હોય છે, પરંતુ પાટડી તાલુકાના નવરંગપુરા ગામના ભરત ઠાકોરે સેવાનો અનોખો રાહ ચીંધ્યો છે. 2021માં નિવૃત્ત થયા હોવા છતાં, શિક્ષણ પ્રત્યેની અખૂટ નિષ્ઠાને કારણે તેઓ છેલ્લા 5 વર્ષથી ઉપરીયાળા પ્રાથમિક શાળામાં બાળકોને નિઃશુલ્ક શિક્ષણ આપી રહ્યા છે. બાળકોમાં જ ભગવાનના દર્શનભરત ઠાકોરનું માનવું છે કે બાળકો એ ભગવાનનું સ્વરૂપ છે. આ જ ભાવના સાથે તેઓ દરરોજ પોતાના ગામ નવરંગપુરાથી ઉપરીયાળા ગામે આવેલી પ્રાથમિક શાળાએ પહોંચી જાય છે. નિવૃત્તિ પછી પણ કોઈ પણ જાતના વેતન કે સન્માનની અપેક્ષા રાખ્યા વિના તેઓ ધોરણ 5ના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે. તેમની આ નિસ્વાર્થ સેવાને કારણે શાળાના બાળકોમાં શિસ્ત અને અભ્યાસ પ્રત્યેની રુચિમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગ્રામજનો માટે પ્રેરણારૂપ વ્યક્તિત્વસ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ભરત ઠાકોરનું કાર્ય નવી પેઢી માટે ઉદાહરણરૂપ છે. જ્યાં લોકો નિવૃત્તિ પછી સામાજિક જવાબદારીઓથી અળગા થઈ જાય છે, ત્યાં તેઓ પોતાનો સમય અને બહોળો અનુભવ બાળકોના ભવિષ્યના ઘડતર માટે ફાળવી રહ્યા છે. બાળકો મારા માટે ભગવાન સમાન-ભરત ઠાકોરભરત ઠાકોરે જણાવ્યું હતું કે, હું 2021માં નિવૃત્ત થયો હતો, પણ બાળકો મારા માટે ભગવાન સમાન છે. એટલે જ હું રોજ 'ભગવાન'ને મળવા શાળાએ જઉં છું. જ્યાં સુધી મારું સ્વાસ્થ્ય સારું રહેશે, ત્યાં સુધી હું બાળકોને ભણાવવાનું ચાલુ રાખીશ. શિક્ષણનો દીવો પ્રજવલિત રાખ્યોશિક્ષકની ફરજ માત્ર નોકરીના વર્ષો સુધી સીમિત નથી હોતી, તે ભરત ઠાકોરે સાબિત કરી દીધું છે. સરકારી ચોપડે નિવૃત્ત જાહેર થયા હોવા છતાં, વાસ્તવિક જીવનમાં તેઓ આજે પણ એક સક્રિય શિક્ષક તરીકે પોતાની ફરજ બજાવી સમાજનું ઘડતર કરી રહ્યા છે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા રાજ્યમાં કર્જા મુક્તિ અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે રાજકોટમાં 26 મી ફેબ્રુઆરીએ યોજાનારા કાર્યક્રમને લઈને આજે તેમણે મીડિયાને સંબોધન કર્યુ. જેમાં રાજ્યની ભાજપ સરકારને ગલગોટિયા ગવર્મેન્ટ સાથે સરખાવી તો અદાણી અને અંબાણી પર પ્રહાર કરતા કહ્યું કે, તેને તો સરકાર કરોડો રૂપિયા આપે છે તો જરૂરિયાત વખતે લોન લઈ ન ભરી શકનારા સાચા લોકોને કર્જ માફી શા માટે ન મળી શકે? ગુજરાત સરકારનું દેવું રૂ.4 લાખ કરોડથી વધી ગયું છે અને અગાઉ ખેડૂતોનું રૂ.72000 કરોડનું દેવું માફ થયેલું છે ત્યારે મધ્યમ વર્ગના લોકોને કર્જ માફી આપી ગુજરાત સરકારે માં - બાપનો રોલ ભજવવો જોઈએ તેવી અપીલ કરી હતી. રાજકોટમાં 26 ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યે અયોધ્યા ચોક પાસે આશાપુરા પાર્ટી પ્લોટમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં કર્જા મુક્તિ અભિયાનનો કાર્યક્રમ યોજાવાનો છે ત્યારે આજે તે અંગે આજે 22 ફેબ્રુઆરીએ તેમણે જણાવ્યુ હતુ કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં લોન ન ભરી શકવાના કારણે લોકોને આત્મહત્યા કરતા રોકવા માટેનું આ અભિયાન છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિયમો મુજબ લોનના પૈસા માંગવામાં આવે અને કડક ઉઘરાણી ન થાય તે જરૂરી છે. ઉઘરાણી કરવાવાળા લોકોના ઘરમાં જઈને બહેન -દીકરીઓની માંગણી કરતા હોય છે. જેથી તેઓને શરમ આવવી જોઈએ. તેમણે જણાવ્યું કે, કોરોના ગયો, નોટબંધી આવી અને GST ના કારણે વેપારીઓએ ખૂબ જ મૂશ્કેલી ભોગવી. તે દરમિયાન કોઈ સંસ્થા પાસેથી રૂપિયા લીધા હોય તો સમયસર આપવામાં તકલીફ હોઈ શકે. તેમાં તેઓને અદાણી અને અંબાણીનો વારસો નથી મળી ગયો. અદાણી અને અંબાણીને કરોડો રૂપિયા આપો છો. કર્જ મુક્તિ કરવી એ સરકારનું કામ છે. અગાઉ ખેડૂતોનું રૂ.72000 કરોડનું દેવું માફ કરેલું છે. જેથી આ સામાન્ય પબ્લિકનું દેવું માફ કરવું જોઈએ. તેમણે જણાવ્યું કે, શંકરસિંહ વાઘેલાએ કોઈ દિવસ ગપ્પા નથી માર્યા. લોકો અમારી પાસે આવીને રડે છે. સંસ્થાઓ દ્વારા લોનના પૈસાની ઉઘરાણી થતા આખું ઘર ઝેરની શીશી લઈને બેઠું હોય. આ વખતે અમે તેમને આશ્વાસન આપીએ છીએ કે અમે કંઈક રસ્તો કાઢશું. નેશનલાઈઝ બેંકો, ખાનગી બેંકોવાળા લોન આપે છે અને વ્યાજે નાણાં આપવાવાળા ઉઘરાણી કરે છે અને તેના ત્રાસથી લોકો આપઘાત કરી રહ્યા છે તેને અટકાવવા માટેનું આ અભિયાન સતત ચાલુ રહેશે. તેમણે જણાવ્યું કે, ગુજરાત સરકારનું દેવું રૂ.4 લાખ કરોડ કરતા વધી ગયુ છે ત્યારે રૂ.1 લાખ કરોડ વધારે થાય. સરકારે હાલ આ લોકો માટે માં -બાપનો રોલ પ્લે કરવો જોઈએ. જ્યારે હાલ ગલગોટિયા ગવર્મેન્ટ હોવાનું નિવેદન શંકરસિંહે આપ્યું હતુ. જેથી જે લોકો આ સરકારથી ત્રાસી ગયા છે તેઓને કહેવા માંગીશ કે આવો અમારી સાથે આવતીકાલે આપણે સરકાર બનાવીશું. લોકશાહીમાં સરકાર બનાવવી કંઈ ખોટું નથી. આ સરકાર પર કોઈને ભરોસો નથી તે બધાને ખબર છે.
મહેસાણા તાલુકાના ખારા દીવાનપુરા ગામે જૂની અદાવત રાખી એક યુવક પર બે શખ્સોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. સરકારી ડેરી પાસે દૂધ ભરાવવા ગયેલા યુવકને ગાળો આપી લાકડા કાપવાના મશીનની ચેઈન તેમજ ગડદાપાટુનો માર મારવામાં આવતા ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અંગે લાઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પિતા-પુત્રએ સુરેશજી સાથે ઝઘડો શરૂ કર્યોખારા દીવાનપુરા ગામે રહેતા અને ખાનગી નોકરી કરતા સુરેશજી બળદેવજી ઠાકોર ગત સાંજે સાત વાગ્યાના સુમારે ગામની સરકારી ડેરીમાં દૂધ ભરાવી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ગામના જ દશરથજી સરતાનજી ઠાકોર અને તેમનો દીકરો અશ્વિનજી ઠાકોર ત્યાં આવી પહોંચ્યા હતા. અગાઉ વરઘોડામાં થયેલી કોઈ બાબતની અદાવત રાખીને બંને પિતા-પુત્રએ સુરેશજી સાથે ઝઘડો શરૂ કર્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડાયોતકરાર દરમિયાન અશ્વિનજીએ પોતાની પાસે રહેલી લાકડા કાપવાના મશીનની ચેઈન વડે સુરેશજીના બરડા અને હાથના ભાગે સપાટા માર્યા હતા. જ્યારે દશરથજીએ ગડદાપાટુનો માર માર્યો હતો. ઈજાગ્રસ્ત યુવકે બૂમાબૂમ કરતા તેનો ભાઈ દોડી આવ્યો હતો અને તેને વધુ મારથી બચાવ્યો હતો. હુમલા બાદ ઈજાગ્રસ્ત યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો. હાલ સાંથલ પોલીસે બંને હુમલાખોરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશન દ્વારા કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. પોલીસના તેરા તુજ કો અર્પણ અભિયાન અંતર્ગત, રસ્તામાં ખોવાઈ ગયેલું અંદાજે રૂ. 5,35,000ની કિંમતનું સોનું શોધી કાઢીને તેના અસલ માલિકને પરત સોંપવામાં આવ્યું છે. આ કિસ્સામાં પોલીસની ટેકનિકલ કુશળતા અને ગરીબ બાળકોની પ્રામાણિકતાનો સમન્વય જોવા મળ્યો હતો. ખિસ્સામાં રાખેલા સોનાના ઘરેણાં રસ્તામાં પડી ગયાતા 16 ફેબ્રુઆરી 2026ના રોજ અરજદાર સંકેત રામજીભાઈ દેવાણી પોતાના પેન્ટના ખિસ્સામાં સોનાનું એક બ્રેસલેટ અને બે નંગ સોનાની કડલીઓ કુલ વજન 33.350 ગ્રામ લઈને સલાબતપુરાથી વરાછા જવા નીકળ્યા હતા. રસ્તામાં સહરા દરવાજા પાસે તેઓ એક પાનના ગલ્લા પર મિત્રની રાહ જોવા થોભ્યા હતા. ત્યારબાદ વરાછા મીનીબજાર પહોંચીને તપાસ કરતા ખબર પડી કે ખિસ્સામાં રાખેલા સોનાના ઘરેણાં ક્યાંક પડી ગયા છે. ઘરેણાં ખોવતા સંકેતભાઈએ તાત્કાલિક મહિધરપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે 45 સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યાપોલીસ ઇન્સ્પેક્ટર એન. એચ. બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એસ. એ. આસનાની અને તેમની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળની આસપાસના અંદાજે 45 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા. ફૂટેજમાં જોવા મળ્યું હતું કે ઘરેણાં સહરા દરવાજા પાસે પડ્યા હતા, જે ત્યાંથી પસાર થતા બે નાના બાળકોને મળ્યા હતા. ગરીબ બાળકોની પ્રામાણિકતાતપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ બંને બાળકો સહરા દરવાજા બ્રિજ નીચે રહે છે અને તેમના માતા-પિતા નથી. તેઓ તેમના દાદી સાથે રહીને કચરો વીણીને ગુજરાન ચલાવે છે. પોલીસે બાળકોની દાદી પાસે જઈ તપાસ કરતા તેમણે નિખાલસતાથી સ્વીકાર્યું હતું કે બાળકોને ચામુંડા હોટલ પાસેના પાનના ગલ્લા પાસેથી આ ઘરેણાં મળ્યા હતા. પોલીસે તમામ ઘરેણાં કબજે કર્યા હતા. બાળકોને પુરસ્કાર આપ્યોપોલીસે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી રૂ. 5.35 લાખની કિંમતના ઘરેણાં મૂળ માલિક સંકેતભાઈને પરત કર્યા હતા. પોતાની કીમતી મૂડી પરત મળતા અરજદારે પોલીસનો આભાર માન્યો હતો. આ સાથે જ, અરજદારે પણ ઉદારતા દાખવીને ઘરેણાં શોધી આપનાર ગરીબ બાળકોને અનાજની કીટ, નવા કપડાં અને રૂ. 1000 રોકડા ભેટ સ્વરૂપે આપીને તેમની પ્રામાણિકતાને બિરદાવી હતી. હું માહિધરપુરા પોલીસનો આભાર માનું છુંસંકેતભાઈ જણાવ્યું હતું કે, ચાર-પાંચ દિવસ પહેલા મારું કંઈ ખોવાયું હતું તે માટે હું મહિધરપુરા પોલીસ પાસે હું મદદ માટે આવ્યો હતો અને ચાર પાંચ દિવસની અંદર જ એ વસ્તુ સીસીટીવીની મદદથી પોલીસે મને ગોતી આપ્યું છે તેથી હું માહિધરપુરા પોલીસનો આભાર માનું છું. અને જે પણ લોકોને મળ્યું હતું તે લોકોને મેં રાજી ખુશીથી કપડા અને રાશનની કીટ લઈ આપી છે.
વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ વિસ્તારમાં આવેલા મલ્હાર પોઇન્ટ એબીસી ટાવરમાં આજે બપોરે આગનો બનાવ સામે આવ્યો હતો. બિલ્ડિંગમાં એસીના આઉટડોરમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ એસી યુનિટ બળીને ખાખ થઈ ગયા હતા. આ અંગેની જાણ થતા જ સ્થાનિક વડીવાડી ફાયર સ્ટેશનની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. MGVCLની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી વીજ પુરવઠો બંધ કર્યોઆ ઘટનાની જાણ થતાં જ 112 ની ટીમ તેમજ MGVCLની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. બાદમાં ફાયર વિભાગે આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. સદ નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ એસીમાં થયેલા શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાનપ્રાથમિક તપાસમાં આગ એસીમાં થયેલા શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન છે. ઉનાળાની શરૂઆત થતાં જ શહેરમાં એરકન્ડિશનર અને ઇલેક્ટ્રિકલ ઉપકરણોમાં શોર્ટ સર્કિટને કારણે આગના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં તસ્કરો ફરી એકવાર સક્રિય થયા હોય તેમ લાગી રહ્યું છે. આંબા તલવાડી પાસે આવેલી એક જાણીતી જ્વેલર્સની પેઢીને નિશાન બનાવી અજાણ્યો ચોર લાખોની મત્તા પર હાથ સાફ કરી ફરાર થઈ ગયો છે. સિંગણપોર-ડભોલી પોલીસ સ્ટેશનની હદમાં બનેલી આ ઘટનામાં તસ્કરે ઓફિસના પાછળના ભાગેથી પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 12 લાખની ચોરી કરી છે. મોડી રાત્રે તસ્કરે જ્વેલર્સની પેઢીને નિશાન બનાવીડભોલી ગામમાં રહેતા સાહિલ દિશનેભાઈ ખાંભડિયાની કતારગામ આંબા તલવાડી પાસે 'ઝીરકોન પ્લસ' બિલ્ડિંગમાં 'બ્લ્યુબેલા જ્વેલર્સ' નામની પેઢી આવેલી છે. ગત તારીખ 21 ફેબ્રુઆરીના રોજ રાત્રિના 2:10 વાગ્યાથી 3:00 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા ચોરે આ ઓફિસને નિશાન બનાવી હતી. વેપારી રાત્રે દુકાન વધાવી ઘરે ગયા બાદ તસ્કરે મોકો જોઈ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ઓફિસના પાછળના ભાગે આવેલી બારીમાંથી પ્રવેશ કર્યોચોરીની પદ્ધતિ અંગે મળતી માહિતી મુજબ, તસ્કર અત્યંત રીઢો હોવાનું જણાય છે. તેણે ઓફિસના પાછળના ભાગે વોશરૂમની બાજુમાં આવેલી કાચની બારીનો ઉપયોગ કર્યો હતો. તસ્કરે આ બારી ખોલી અંદર પ્રવેશ કર્યો હતો અને અત્યંત શાંતિથી આખી ઓફિસની તપાસ હતી. બારી વાટે અંદર ઘૂસેલા આ શખસે ઓફિસમાં રહેલા કબાટ અને ડ્રોઅરમાં રાખેલા કિંમતી ઘરેણાં ચોરી કર્યા હતા. સોના-ચાંદીના દાગીના અને રોકડની લૂંટતસ્કર ઓફિસમાંથી મોટી માત્રામાં કિંમતી સામાન ચોરી ગયો છે. અહેવાલ મુજબ રૂ. 1.30 લાખની રોકડ, સોનાની બે રિંગ, 22.87 ગ્રામનું સોનાનું કડુ, સોનાની બુટ્ટી, નેકલેસ અને સોનાના અલગ અલગ ટુકડાઓની ચોરી થઈ છે. આ ઉપરાંત અંદાજે 220 ગ્રામના હીરા જડિત ચાંદીના દાગીના અને મોઝેનાઈટ ડાયમંડના પેકેટ સહિત કુલ રૂ. 12,26,419ની મત્તા ચોર લઈ પલાયન થયો છે. CCTV ફૂટેજમાં કેદ થયો શંકાસ્પદ તસ્કરસમગ્ર ઘટના ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજની તપાસ કરતા સામે આવ્યું છે કે ચોરી કરનાર ઈસમ પાતળા બાંધાનો છે અને તેણે શરીર પર ઉભી લાઈનીંગવાળો શર્ટ તથા પેન્ટ પહેરેલું છે. પકડાઈ ન જાય તે માટે તેણે સાવચેતી રૂપે મોઢે રૂમાલ બાંધેલો હતો અને તે ઉઘાડા પગે ઓફિસમાં ચોરી કરતો નજરે પડ્યો હતો. પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યાઘટનાની જાણ થતા જ સિંગણપોર-ડભોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા ભારતીય ન્યાય સંહિતા-2023ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર વાય. બી. ગોહિલના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવીને તસ્કરના વર્ણનના આધારે તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ઇંગ્લેન્ડના વેસ્ટ મીડલેન્ડ કમ્બાઈન્ડ ઓથોરિટીના મેયર રિચાર્ડ પાર્કર અને હાઈ લેવલ ડેલિગેશને સૌજન્ય મુલાકાત કરી હતી. ઇન્ડિયા-યુકે ટ્રેડ ડીલ પછી ગુજરાતમાં આ પ્રથમ સત્તાવાર મુલાકાત હોવાનું ખાસ નોંધપાત્ર રહ્યું. બંને પક્ષોએ ટેકનોલોજી, ઈનોવેશન અને રોકાણ આધારિત વિકાસ માટે ભાગીદારીઆ બેઠક દરમિયાન હાયર એજ્યુકેશન, ગ્રીન ઇકોનોમી, ઈલેક્ટ્રિક વ્હીકલ (EV), સ્કીલ ડેવલપમેન્ટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને એડવાન્સ મેન્યુફેક્ચરિંગ જેવા ઉભરતા ક્ષેત્રોમાં સહકાર વધારવા અંગે વિસ્તૃત ચર્ચા થઈ. બંને પક્ષોએ ટેકનોલોજી, ઈનોવેશન અને રોકાણ આધારિત વિકાસ માટે ભાગીદારી મજબૂત કરવાની તત્પરતા વ્યક્ત કરી. ગુજરાતમાં 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ અને આધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં યુકેની નિષ્ણાતી ઉપયોગી બની શકે તે મુદ્દે પણ ચર્ચા થઈ. મેયર રિચાર્ડ પાર્કરે મુખ્યમંત્રી તથા ગુજરાતના પ્રતિનિધિમંડળને વેસ્ટ મિડલેન્ડની મુલાકાત માટે આમંત્રણ પાઠવ્યું. 2003ની વાયબ્રન્ટ સમિટથી ગુજરાત વૈશ્વિક રોકાણ માટે આકર્ષક ગંતવ્ય બન્યુંમુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વના દેશો માટે વિશ્વાસુ મિત્ર તરીકે ઉભર્યું છે. 2003ની વાયબ્રન્ટ સમિટથી ગુજરાત વૈશ્વિક રોકાણ માટે આકર્ષક ગંતવ્ય બન્યું છે અને પોલિસી ડ્રિવન ગવર્નન્સથી રાજ્યે સેક્ટર સ્પેસિફિક ગ્રોથ મોડલ અપનાવ્યું છે. ‘વિકસિત ભારત 2047’ના વિઝનમાં ગુજરાત ગ્રીન ગ્રોથ અને ટેક્નોલોજી આધારિત વિકાસમાં આગેવાની લેવા સજ્જ હોવાનું તેમણે ઉમેર્યું. વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ જોડાયા હતાસહયોગને સંસ્થાગત સ્વરૂપ આપવા ગુજરાત સરકાર અને વેસ્ટ મિડલેન્ડ વચ્ચે જોઇન્ટ વર્કિંગ ગ્રુપ રચવાનો પ્રસ્તાવ મૂકાયો. સંપર્ક અને સંકલન માટે ઇન્ડેક્સ-બીને નોડલ એજન્સી તરીકે નિમણૂંક કરવાની દિશામાં પણ ચર્ચા થઈ. આ ડેલિગેશનમાં વેસ્ટ મીડલેન્ડ ગ્રોથ કંપની ના CEO નેઇલ રામી, E.ON ના ચીફ કોમર્શિયલ ઓફિસર વિજય ટાંક, યુનિવર્સિટી ઓફ વોરવીક ના ઇનોવેશન ડિસ્ટ્રિક્ટ સાથે જોડાયેલા પ્રતિનિધિઓ, યુનિવર્સિટી ઓફ બર્મિંઘમના વાઇસ ચાન્સેલર, એસ્ટોન યુનિવર્સિટીના અધિકારીઓ સહિત વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ જોડાયા હતા. આ બેઠક દરમિયાન ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, ઉદ્યોગ કમિશ્નર પી. સ્વરૂપ, ડો. વિક્રાંત પાંડે અને ઇન્ડેક્સ-બીના એમ.ડી. કેયૂર સંપટ ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાતથી ગુજરાત અને યુકે વચ્ચે વેપાર, રોકાણ અને જ્ઞાનઆધારિત ભાગીદારીને નવી દિશા મળશે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.
મહેસાણા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાના અમલીકરણ માટે પોલીસ સખત કાર્યવાહી કરી રહી છે. મહેસાણા પાલનપુર હાઈ-વે પર બાંધકામ સાઈટ પર કામ કરતા પરપ્રાંતિય મજૂરોની ઓનલાઈન એન્ટ્રી કે પોલીસ સ્ટેશનમાં જાણ ન કરવા બદલ એક કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. બ્લીસ વોટરપાર્કની સામે આવેલી 'જય અંબે કોમ્પ્લેક્સ'ની કન્સ્ટ્રક્શન સાઈટની તપાસમહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના PSI આર.આર.ચૌધરી અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મહેસાણા-પાલનપુ હાઈ-વે પર બ્લીસ વોટરપાર્કની સામે આવેલી 'જય અંબે કોમ્પ્લેક્સ'ની કન્સ્ટ્રક્શન સાઈટની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સાઈટના લેબર કોન્ટ્રાક્ટર જયરામભાઈ બાબુભાઈ પ્રજાપતિ (રહે. માધવ હોમ્સ, રાધનપુર રોડ, મહેસાણા) હાજર મળી આવ્યા હતા. જાહેરનામા મુજબ પરપ્રાંતિય મજૂરોની ફરજિયાત ઓનલાઈન એન્ટ્રીપોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, સાઈટ પર અન્ય રાજ્યના મજૂરો કામ કરી રહ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ કોઈપણ ખાનગી સંસ્થા, ફેક્ટરી, બિલ્ડિંગ બાંધકામ કે ખેતરમાં રાખવામાં આવતા પરપ્રાંતિય મજૂરોની ફરજિયાત ઓનલાઈન એન્ટ્રી કરવાની હોય છે અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની હોય છે. જોકે, કોન્ટ્રાક્ટર દ્વારા આ અંગે કોઈપણ પ્રકારની નોંધણી કરવામાં આવી નહોતી. ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા અને જાહેર શાંતિ જળવાઈ રહે તે હેતુથી બહાર પાડવામાં આવેલા આ જાહેરનામાના ભંગ બદલ પોલીસે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ BNS ની કલમ-223 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ આરોપીને BNSSની કલમ-35(3) મુજબ નોટિસ આપી તપાસમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.
પાટણ જીમખાનામાં ઉત્તર ગુજરાત સ્કેટિંગ ચેમ્પિયનશિપ:150થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો, વિજેતાઓને મેડલ અપાયા
રોલર્સ સ્કેટિંગ સ્પોર્ટ્સ એસોસિએશન, ઉત્તર ગુજરાત દ્વારા પાટણના એ.કે. મ્યુનિસિપલ જીમખાના ખાતે “સ્કેટિંગ ચેમ્પિયનશિપ – 2026” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી 150થી વધુ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિવિધ વય જૂથ મુજબ યોજાયેલી સ્પર્ધાઓમાં નાના બાળકોથી લઈને યુવાનોએ પોતાની પ્રતિભા દર્શાવી હતી. સ્પર્ધા પૂર્ણ થયા બાદ વિજેતા ખેલાડીઓને મેડલ તથા સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર, સ્કેટિંગ સ્પોર્ટ્સ એસોસિએશન ઉત્તર ગુજરાતના પ્રમુખ ચિંતનભાઈ પ્રજાપતિ, પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, એસોસિએશનના ઉપપ્રમુખ મનોજભાઈ પટેલ, મહામંત્રી અંકિતાબેન રાવલ, સહમંત્રી મૃદુલા ઠક્કર સહિત કારોબારી સભ્યો, વાલીઓ અને કોચ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રમુખ ચિંતનભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં પાટણ જિલ્લામાં વધુ બાળકો અને મહિલાઓ સ્કેટિંગ રમત સાથે જોડાય તેવા પ્રયાસો ચાલી રહ્યા છે. નજીકના સમયમાં પાટણ ખાતે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટનું આયોજન કરવાની પણ યોજના છે.
બાયડમાં ઇકો કારમાંથી 3.02 લાખનો ગાંજો ઝડપાયો:ANTIF બોર્ડર ઝોન CID ક્રાઇમે બે આરોપીની ધરપકડ કરી
અરવલ્લી જિલ્લાના બાયડ શહેરમાંથી પ્રતિબંધિત નશીલા પદાર્થ ગાંજાનો મોટો જથ્થો ઝડપાયો છે. ગાંધીનગરની ANTIF બોર્ડર ઝોન CID ક્રાઇમ ટીમે એક ઇકો કારમાંથી રૂ. 3.02 લાખની કિંમતનો 6.40 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. આ કાર્યવાહી બાયડના સાગર પાર્લર પાસેથી કરવામાં આવી હતી. પોલીસે આ મામલે અજય કુમાર ચાવડા અને નરેશ કુમાર સોલંકી નામના બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. નારકોટિક્સ ટીમને આ અંગે ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે શંકાસ્પદ ઇકો કારને રોકી તલાશી લેવામાં આવી હતી. અરવલ્લી જિલ્લામાં પ્રતિબંધિત નશીલા પદાર્થોની હેરાફેરીમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે આ ઝડપાયેલો જથ્થો મહત્વનો છે.
દેવભૂમિકા દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરી પરત ફરી રહેલા એક રાજસ્થાની પરિવારને પોરબંદરના વિસાવડા નજીક ગમખ્વાર અકસ્માત નડ્યો છે. કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર માર્ગ નીચે ઉતરીને પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર 1 મહિલા અને 1 પુરુષનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 5 વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. અકસ્માતની વિગતમળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનનો આ પરિવાર દ્વારકા દર્શન કરીને પોતાની કારમાં પોરબંદર તરફ જઈ રહ્યો હતો. વિસાવડા હાઈવે પર પહોંચતા કારચાલકે અચાનક વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે કાર રસ્તા પરથી નીચે ઉતરી ગઈ હતી અને પલટીઓ મારી ગઈ હતી. જાનહાનિ અને ઈજાગ્રસ્તોઅકસ્માત સમયે કારમાં કુલ 7 લોકો સવાર હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓને કારણે કારમાં સવાર 1 મહિલા અને 1 પુરુષના સ્થળ પર જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. અન્ય 5 મુસાફરોને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ કાર્યવાહીઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટેની પ્રક્રિયા હાથ ધરી છે. આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. હસતા-રમતા દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારમાં આ અણધારી આફતથી શોકનું મોજું ફરી વળ્યું છે.
મહેસાણા શહેરના દૂધસાગર ડેરી પાછળ આવેલા શિવગંગા પરિસરમાં ફર્નિચરના કામના પૈસા અને અધૂરી કામગીરી બાબતે ચાલી રહેલો વિવાદ રવિવારે ઉગ્ર બન્યો હતો. આ મામલે મિસ્ત્રી અને એન્જિનિયર પરિવારે એકબીજા પર હુમલો કર્યાના આક્ષેપો સાથે મહેસાણા બી-ડિવિઝન પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાવી છે.પોલીસે બંને પક્ષોની રજૂઆત સાંભળી સાતથી વધુ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘરમાં ઘૂસી ચાર શખસોએ હુમલો કર્યોભોગ બનનાર મિસ્ત્રી દીપકભાઈ ભાઈશંકર સુથારે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમણે તેમના જ ફ્લેટમાં રહેતા હસમુખભાઈ પ્રજાપતિના ઘરે ફર્નિચરનું કામ રાખ્યું હતું જેના પેટે 2.50 લાખ એડવાન્સ લીધા હતા. રવિવારે સવારે હસમુખભાઈ, તેમના જમાઈ વિપુલભાઈ પટેલ, દીકરી એકતાબેન અને વેવાઈ ભગવાનભાઈએ તેમના ઘરે આવી કામ બાબતે ગાળાગાળી કરી હતી. આ શખ્સોએ દીપકભાઈ અને તેમના પુત્ર ગોકુલને ગડદાપાટુનો માર માર્યો હતો અને કામ પૂરું નહીં કરો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઈજાગ્રસ્ત ગોકુલને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. મિસ્ત્રી પરિવારે લાકડાના ધોકા વડે માર માર્યોસિંચાઈ વિભાગમાં ઈજનેર તરીકે ફરજ બજાવતા વિપુલકુમાર પટેલે ફરિયાદ નોંધાવી છે કે તેમના સસરા હસમુખભાઈએ ફર્નિચર માટે મિસ્ત્રી દીપકભાઈને રૂ. 2.55 લાખ આપ્યા હોવા છતાં તેઓ કામ પૂરું કરતા નહોતા. રવિવારે જ્યારે વિપુલકુમાર, તેમના પત્ની GST ઈન્સ્પેક્ટર અને પિતા સાથે હિસાબ પતાવવા ગયા ત્યારે મિસ્ત્રીએ નીચે આવવાની ના પાડી ઉદ્ધત વર્તન કર્યું હતું.ત્યારબાદ મિસ્ત્રી દીપકભાઈ, તેમની પત્ની અને પુત્રએ લાકડાના ધોકા સાથે ધસી આવી ઈજનેર અને તેમના સસરા પર હુમલો કર્યો હતો. આ ઝપાઝપીમાં તેમના ચશ્મા તૂટી ગયા હતા અને કપડાં ફાટી ગયા હતા. પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ તેજ કર્યોનોંધનીય છે કે, આ વિવાદ અગાઉ પણ પોલીસ મથકે પહોંચ્યો હતો જ્યાં પોલીસે બંને પક્ષોને કન્ઝ્યુમર કોર્ટમાં જવા સલાહ આપી હતી. જોકે, રવિવારે મામલો બિચકતા વિપુલકુમારે 112 નંબર પર ફોન કરી પોલીસ બોલાવવી પડી હતી. હાલમાં બી-ડિવિઝન પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
વેરાવળમાં કોળી સમાજનો પાંચમો સમૂહલગ્નોત્સવ:28 યુગલોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા
વેરાવળ ખાતે સમસ્ત કોળી સમાજ વેલનાથ સમૂહ લગ્ન સમિતિ દ્વારા પાંચમો સમૂહલગ્નોત્સવ ભવ્યતાથી ઉજવાયો હતો. આ પ્રસંગે 28 નવદંપતીઓએ વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પવિત્ર અગ્નિની સાક્ષીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ સમૂહલગ્નોત્સવમાં સાંસદ રાજેશ ચુડાસમા અને સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ નવદંપતીઓને આશીર્વચન પાઠવી તેમના નવા જીવન માટે શુભકામનાઓ આપી હતી. સમસ્ત કોળી સમાજ વેલનાથ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ દીપક ગઢિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, સમાજમાં વધતા ખોટા અને આડંબરયુક્ત ખર્ચાઓને રોકવા તેમજ સમાજમાં એકતા અને સંગઠનભાવના મજબૂત બને તેવા ઉમદા હેતુથી આ સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોટા કોળીવાડાના પટેલ કાળુભાઈ ચારીયા, ટ્રસ્ટી વિરજીભાઈ જેઠવા, નાના કોળીવાડાના પટેલ ભીખુભાઈ વાયલુ, કરશનભાઈ વાજા, ટ્રસ્ટી દાનાભાઈ બારીયા સહિત સમાજના અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ યુવાનોની ટીમે સતત જહેમત ઉઠાવી હતી. આ સમૂહલગ્નોત્સવ માત્ર લગ્નવિધિ પૂરતો સીમિત ન રહેતા, સમાજમાં સહકાર, સંસ્કાર અને સામાજિક સમરસતાનું સશક્ત પ્રતીક બની રહ્યો હતો. મોટી સંખ્યામાં સમાજજનોની ઉપસ્થિતિએ સમગ્ર વાતાવરણને ઉત્સાહમય બનાવી દીધું હતું. આ કાર્યક્રમ દ્વારા સમાજમાં સાદગીપૂર્ણ લગ્ન પ્રત્યે વધતી જાગૃતિ અને સામૂહિક આયોજનની સફળતા સ્પષ્ટપણે જોવા મળી હતી.
ગઢડામાં આહિર સમાજ દ્વારા આયોજિત દેવી ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો છે. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે સપ્તાહના પ્રથમ દિવસે હાજરી આપી હતી. આ દેવી ભાગવત સપ્તાહ ગઢડામાં ઘેલો નદીના કાંઠે આવેલા મચ્છુ માતાજીના મંદિરે યોજાઈ રહી છે. આહિર સમાજ દ્વારા શક્તિસિંહ ગોહિલ સહિત ઉપસ્થિત અન્ય આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંસદ શક્તિસિંહ ગોહિલે કથા શ્રવણ કરી હતી અને આરતીનો લાભ લીધો હતો. કથા વક્તા મહાદેવ પ્રસાદજીના મુખેથી કથાનું શ્રવણ કર્યું હતું. આ પ્રસંગે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આહિર સમાજ દ્વારા દેવી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે આયોજનની પ્રશંસા કરતા કહ્યું કે, આહિર સમાજે એકતા સાથે ગઢડામાં ખૂબ જ સરસ આયોજન કર્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આપણા શાસ્ત્રો, ધર્મો અને પુરાણો માણસને સત્યના માર્ગે ચાલવા પ્રેરણા આપે છે અને મુશ્કેલીના સમયમાં ઈશ્વર સાચો માર્ગ બતાવે છે. સમાજમાં એકતા, ભાઈચારો, પ્રેમ અને શાંતિ એ આપણા ધર્મોનું નિષ્કર્ષ છે.
પાટણ લગ્નમાં વર-કન્યાએ બે વાર હાર પહેરાવ્યા:નૃત્ય સાથે પ્રવેશ કરી પરંપરામાં નવીનતા ઉમેરી
પાટણમાં યોજાયેલા એક લગ્ન સમારોહમાં પરંપરાગત રીતિ-રિવાજોથી હટીને નવીનતા જોવા મળી હતી. આ લગ્નમાં કન્યાએ વરરાજાને બે વખત ફૂલહાર પહેરાવ્યા હતા અને લગ્નમંડપમાં કન્યાનો પ્રવેશ પણ નૃત્ય સાથે થયો હતો. આ લગ્ન મૂળ બાલીસણાના વતની અને પાટણમાં રહેતા મૂકબધિર રાકેશભાઈ રાવલની દીકરી ખુશીના સિદ્ધપુરના દિક્ષિત દવે સાથે રવિવારે બપોરે યોજાયા હતા.વરરાજાની એન્ટ્રી થતાં જ કન્યા ખુશી આનંદભેર નૃત્ય કરતી આવી હતી અને પોતાના મંગેતરને ફૂલહાર પહેરાવી વધાવ્યો હતો. વરરાજાએ પણ વધૂને હાર પહેરાવ્યો હતો. ત્યારબાદ કન્યા નૃત્ય સાથે ચોરીમાં પહોંચી હતી, જ્યાં પણ પરસ્પર જયમાલા પહેરાવવામાં આવી હતી. આ રીતે લગ્નમાં બે વખત ફૂલહાર પહેરાવવાની અનોખી પરંપરા જોવા મળી હતી.લગ્નના પંડિતજીએ આ અંગે જણાવ્યું હતું કે, સમય પ્રમાણે અલગ-અલગ રીત-રિવાજોમાં નવીનતા લાવવાનો પ્રયાસ થતો રહે છે. જોકે, મૂળ વિધિમાં કોઈ બાંધછોડ કરવામાં આવતી નથી.
108 ટીમે એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ કરાવી:હોસ્પિટલ પહોંચતા પહેલા માતા-નવજાતનો જીવ બચાવ્યો
પોરબંદર જિલ્લામાં 108 ઈમરજન્સી સેવા ટીમે સમયસૂચકતા વાપરી માતા અને નવજાત બાળકનો જીવ બચાવ્યો છે. રાણાવાવ તાલુકાના માહિરા ગામની એક સગર્ભા મહિલાને હોસ્પિટલ પહોંચતા પહેલા જ એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ કરાવવામાં આવી હતી. માહિરા ગામની મહિલાને અચાનક પ્રસૂતિની તીવ્ર પીડા ઉપડતા પરિવારજનોએ 108 ને જાણ કરી હતી. માહિતી મળતા જ રાણાવાવ 108 ની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્રીજી વખત સગર્ભા બનેલી આ મહિલાની સ્થિતિ ગંભીર જણાતા અને હોસ્પિટલ પહોંચાડવા જેટલો સમય ન હોવાથી ટીમે તાત્કાલિક નિર્ણય લીધો. 108 ના EMT આફતાબભાઈ બિલ્લી અને પાયલોટ હરેશભાઈ ગોસીયાએ પોતાની તાલીમ અને અનુભવનો ઉપયોગ કરીને એમ્બ્યુલન્સમાં જ સુરક્ષિત રીતે પ્રસુતિ કરાવી. મહિલાએ એક સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો હતો. પ્રાથમિક સારવાર આપ્યા બાદ માતા અને નવજાત શિશુને વધુ સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બંનેની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. આ સફળ કામગીરી બદલ જિલ્લા પ્રોગ્રામ મેનેજર આકાશ અને જિલ્લા કો-ઓર્ડિનેટર જયેશગીરી મેઘનાથી દ્વારા સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. ગ્રામજનો અને પરિવારજનોએ પણ 108 ની ટીમની આ કામગીરીને બિરદાવી હતી.
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલી શ્રી શક્તિ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે શિક્ષણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સોશિયલ આઈ ફાઉન્ડેશન અને તાજ સ્કાય લાઈન હોટલ દ્વારા સંયુક્ત રીતે યોજાયો હતો. સોશિયલ આઈ ફાઉન્ડેશનના ટ્રસ્ટી શાલીનભાઈ પરીખના જન્મદિવસ નિમિત્તે વિદ્યાર્થીઓને ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત, તાજ સ્કાય લાઈન હોટલ દ્વારા વિદ્યાર્થીઓને ભેટ (ગિફ્ટ) પણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સોશિયલ આઈ ફાઉન્ડેશનની ટીમ, તાજ સ્કાય લાઈન હોટલની ટીમ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, શાળાના આચાર્ય અને શાળાના ટ્રસ્ટી શ્રી પ્રજ્ઞેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
માતૃભાષા દિવસની ઉજવણી:કુંભણ કન્યા શાળામાં વિદ્યાર્થીઓમાં ભાષા પ્રત્યે ગૌરવ અને લાગણી વિકસાવાઈ
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની કુંભણ કન્યા શાળામાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં માતૃભાષા પ્રત્યે ગૌરવ અને લાગણી વિકસાવવાનો હતો. કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થના સાથે થયો હતો. શાળાના આચાર્ય રેખાબેન મકવાણાએ માતૃભાષાનું મહત્વ સમજાવતા જણાવ્યું કે, માતૃભાષા વ્યક્તિની ઓળખ, સંસ્કૃતિ અને સંસ્કારનો મૂળ આધાર છે. તેના દ્વારા જ જ્ઞાનનો મજબૂત પાયો રચાય છે અને બાળકનો સર્વાંગી વિકાસ શક્ય બને છે. આ પ્રસંગે, જાનવીબેન કામળિયા અને રાજવીબેન કુચા દ્વારા માતૃભાષાના મહત્વ પર આધારિત એક હૃદયસ્પર્શી નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ નાટક દ્વારા વિદ્યાર્થીઓમાં માતૃભાષા પ્રત્યે પ્રેમ અને ગૌરવની ભાવના પ્રગટ થઈ હતી. કાર્યક્રમનું સુંદર અને સુવ્યવસ્થિત સંચાલન યોગેશકુમાર રાયકંગોર દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી અને યાદગાર રહ્યો હતો.
શિક્ષક રોજગાર મેળામાં 133 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી:વીર નર્મદ યુનિવર્સિટી ખાતે 28 શાળાઓએ ભાગ લીધો
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે શિક્ષકો માટે એક રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં કુલ 133 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આ રોજગાર મેળો 19 ફેબ્રુઆરી, 2026 ના રોજ યુનિવર્સિટી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET), સુરત અને મહાનગર નિયામક (રોજગાર) કચેરી, સુરતના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ રોજગાર મેળામાં કુલ 28 શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને શાળાઓએ સક્રિય ભાગ લીધો હતો. આશરે 300 થી વધુ ઉમેદવારોએ ઇન્ટરવ્યુ પ્રક્રિયામાં ભાગ લીધો હતો, જેમાંથી 133 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આ મેળામાં સુરત જિલ્લાની પી.પી. સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, સ્ટડી સંકુલ, એચ.વી. વિદ્યાભવન, નાંદોલા ગ્રુપ ઓફ સ્કૂલ, અક્ષર સ્કૂલ, સ્વામિનારાયણ વિદ્યામંદિર, અશ્વાલ વિદ્યાવિહાર, વેદાંત પબ્લિક સ્કૂલ, શ્રી જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ સહિતની પ્રતિષ્ઠિત શાળાઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન યુનિવર્સિટીના માનનીય કુલપતિ અને ઉપસ્થિત અધિકારીઓના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુનિવર્સિટીના પ્લેસમેન્ટ ઓફિસર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના અધિકારીઓ, રોજગાર કચેરીના પ્રતિનિધિઓ તેમજ વિવિધ શાળાઓના આચાર્યો અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ઉમેદવારો માટે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક (બી.એડ./ડી.એલ.એડ.) પ્રવાહના વિવિધ વિષયોના પદો માટે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. પ્રાથમિક રીતે પસંદગી પામેલા ઉમેદવારોને સંબંધિત શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આગળની નિમણૂક પ્રક્રિયા માટે સંપર્ક કરવામાં આવશે. આ પ્રકારના રોજગાર મેળાના આયોજનથી શિક્ષિત યુવાનોને રોજગારની તકો મળે છે અને શૈક્ષણિક સંસ્થાઓને યોગ્ય શિક્ષકોની ઉપલબ્ધિ થાય છે. યુનિવર્સિટી દ્વારા ભવિષ્યમાં પણ આવા રોજગારલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
માતૃભાષા મહોત્સવની ઉજવણી:વિસલપુર શાળામાં ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગથી કાર્યક્રમ યોજાયો
વિસલપુર (અમદાવાદ) ખાતે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે 'માતૃભાષા મહોત્સવ – 2026'નું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી તલકચંદ ઝબકબા પ્રાથમિક શાળા અને શ્રી તરકચંદ ઝબકબા વિસલપુર સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો. આ મહોત્સવમાં તલકચંદ ઝબકબા કેમ્પસના ડાયરેક્ટર રમેશભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. માધ્યમિક શાળાના પ્રિન્સિપાલ દિલીપસિંહ ચૌહાણે માતૃભાષાના મહત્વ અને ગુજરાતી ભાષાના સંવર્ધન અંગે પ્રેરક વિચારો રજૂ કર્યા હતા. શાળાના પ્રિન્સિપાલ મનીષા નંદકિશોર શુક્લે માતૃભાષા પ્રત્યે ગૌરવ અને સંસ્કાર જાળવવા પર ભાર મૂક્યો હતો અને કાર્યક્રમના સંયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ઉચ્ચતર પ્રાથમિક શાળાના શ્રીમતી ગીતાબેન પટેલ વિશિષ્ટ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન તેજલબેન જાની અને નયનાબેન વણકર દ્વારા કરવામાં આવ્યું હતું. ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક મન્સૂરીસાહેબ અને ધોરણ 9ની વિદ્યાર્થીનીઓએ માતૃભાષાના જીવનમાં સ્થાન વિશે વક્તવ્ય આપ્યા હતા. ગુજરાતી સાહિત્ય આધારિત વાચન, રજૂઆત અને સંદેશાત્મક પ્રવૃત્તિઓ દ્વારા કાર્યક્રમને સભર બનાવવામાં આવ્યો હતો. 'માતૃભાષા કાર્યશાળા' અંતર્ગત દિવાલ પર તૈયાર કરાયેલા વિશાળ બોર્ડ પર શિક્ષકો અને મહાનુભાવોએ પોતાના હસ્તાક્ષર અને માતૃભાષા પ્રત્યેના સંદેશા લખી કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ પ્રદર્શન પણ સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.
કવિ પ્રેમાનંદ શાળામાં વાર્ષિક સમારોહ યોજાયો:બાળકોએ નૃત્ય, પર્ફોર્મન્સ રજૂ કર્યા; ઇનામો અપાયા
વાઘોડિયા રોડ પર આવેલી કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળામાં 21 ફેબ્રુઆરીના રોજ વાર્ષિક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય શ્રી જીગ્નેશભાઈ પરીખ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શાળાના બાલવાડી, બાલવટીકા તેમજ ધોરણ એક થી આઠના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોએ વિવિધ નૃત્યો અને અન્ય સાંસ્કૃતિક પ્રદર્શન રજૂ કર્યા હતા.કાર્યક્રમ બાદ જુદી જુદી સ્પર્ધાઓમાં વિજેતા બનેલા બાળકોને ટ્રોફી અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે SMCના સભ્યશ્રીઓ પણ હાજર રહ્યા હતા. બાળમેળાના આયોજનમાં સહયોગ આપનાર વાલી મનોજભાઈનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓએ માતૃભાષા દિવસે લીધા શપથ:ગુજરાતી ભાષાનું એક પુસ્તક ખરીદવાનો સંકલ્પ કર્યો
આજરોજ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલના વિદ્યાર્થીઓ દ્વારા એક વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ ગુજરાતી ભાષાનું એક પુસ્તક ખરીદવાના શપથ લીધા હતા. કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે જણાવ્યું હતું કે કોઈપણ દેશની સંસ્કૃતિ, વારસો, પરંપરા અને ઇતિહાસ તેની માતૃભાષામાં જ સમજાય છે અને સચવાય છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે પોતાની ભાવનાઓ અને લાગણીઓ વ્યક્ત કરવા માટે માતૃભાષા શ્રેષ્ઠ માધ્યમ છે. વકીલે વધુમાં ઉમેર્યું હતું કે સરળતાથી માહિતી અને જ્ઞાનની આપ-લે કરવા, વિચાર વિનિમય કરવા તથા અભિવ્યક્તિ રજૂ કરવા માટે પણ માતૃભાષા અનિવાર્ય છે. સંતોષકારક રજૂઆત અને સંવેદનાઓ વ્યક્ત કરવાનું માતૃભાષામાં સરળ રહે છે. તેમણે માતૃભાષાના ગૌરવ સાથે તેનું સાહિત્ય લખાવું જોઈએ અને વંચાવું પણ જોઈએ તેમ જણાવ્યું હતું, જેથી સમાજ તંદુરસ્ત રહે છે. તેમણે મહાત્મા ગાંધી, નર્મદ, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોષી, નિરંજન ભગત, રાજેન્દ્ર શાહ જેવા સાહિત્યકારોએ ગુજરાતી માતૃભાષામાં સાહિત્ય લખી સમાજની મોટી સેવા કરી હોવાનું ઉલ્લેખ કર્યો હતો.આ કાર્યક્રમનું સંચાલન સ્ટડી સર્કલના કોઓર્ડિનેટર પ્રા. પાયલ ત્રિવેદીએ કર્યું હતું, જ્યારે પ્રા. ચેતન મેવાડાએ આભારદર્શન કર્યું હતું.
ગાંધીનગર સ્થિત ગુજરાત સાહિત્ય અકાદમી અને કાંકરિયાની દીવાન-બલ્લુભાઈ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ નિમિત્તે ‘માતૃભાષા મહોત્સવ–૨૦૨૬’ અંતર્ગત કવિસંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં સાહિત્યરસિકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કવિસંમેલનમાં આમંત્રિત કવિઓ હરદ્વાર ગોસ્વામી, વિરલ દેસાઈ, સુચિતા ભટ્ટ, નીલમબહેન ત્રિવેદી, લવભાઈ સિંહા અને હરેશભાઈ ખાટસૂરિયાએ પોતાની રચનાઓ રજૂ કરી હતી. તેમણે વિવિધ વિષયો પર આધારિત કાવ્યો અને ગઝલો દ્વારા માતૃભાષા પ્રત્યેનો પ્રેમ અને ગૌરવ વ્યક્ત કર્યો હતો. શાળાના આચાર્ય બિપીનચંદ્ર પંચાલે મહેમાનોનો પરિચય આપી સ્વાગત કર્યું હતું. શિક્ષિકા અંકિતાબહેન દેસાઈએ માતૃભાષાનું મહત્ત્વ સમજાવ્યું હતું.કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ટ્રસ્ટી કૌશલભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે માતૃભાષાની મહત્તા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન જાગૃતિબહેન દવેએ કર્યું હતું. આયોજનમાં દિવ્યેશભાઈ બારોટ, સોનલબહેન મેકવાન, ખુશાલીબહેન ઉપાધ્યાય, મેહુલભાઈ ત્રિવેદી અને કનુભાઈ નાદપરાએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમના અંતે આયોજક મંડળ દ્વારા તમામ કવિઓ અને મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. માતૃભાષા મહોત્સવ અંતર્ગત આ કવિસંમેલન દ્વારા ગુજરાતી ભાષાના ગૌરવ અને સાહિત્યપ્રેમની ઉજવણી થઈ હતી.
રાહી ફાઉન્ડેશન દ્વારા ન્યૂ વાસણાના ગરીબ આવાસ યોજના, સ્વર્ણિમનગર ખાતે 800થી વધુ શ્રમજીવી પરિવારોના બાળકો અને મહિલાઓને વેજીટેબલ ખીચડી અને મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું. આ ફાઉન્ડેશનનો 215મો ખીચડી વિતરણ પ્રોજેક્ટ હતો. આ કાર્યક્રમ વાડીલાલ એપાર્ટમેન્ટની બાજુમાં આવેલા ગરીબ આવાસ યોજના, સ્વર્ણિમનગર, ન્યૂ વાસણા ખાતે યોજાયો હતો. જેમાં પૌષ્ટિક વેજીટેબલ ખીચડી અને તાજી મસાલા છાશનું વિતરણ કરાયું હતું. આ વિતરણ કાર્યક્રમમાં રાજેશભાઈ અને બેલાબેન પરીખ પરિવારે સહયોગ આપ્યો હતો. રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, નિહારિકા પરીખ, ભદ્રેશ પટેલ, મહેન્દ્ર પટેલ, શરદ જાદવ, સ્વપ્નિલ, વિજય દલાલ અને માર્કન્દભાઈ ઉપસ્થિત રહીને કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ના પબ્લિક એડમિનિસ્ટ્રેશન વિભાગ દ્વારા આધુનિક ભારતમાં સરદાર પટેલના વિચારોની પ્રાસંગિકતા વિષય પર એક આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારમાં દેશ-વિદેશમાંથી કુલ 170 પ્રતિભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેને વ્યાપક શૈક્ષણિક પ્રતિસાદ મળ્યો હતો. સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રનિર્માણ, વહીવટી એકીકરણ, સુશાસન અને આધુનિક ભારતના પડકારજનક સંજોગોમાં તેમના વિચારોની પ્રાસંગિકતા પર ચર્ચા કરવાનો હતો. કાર્યક્રમમાં કીનોટ સ્પીકર્સ તરીકે પ્રો. જનક સિંહ મીના અને પ્રો. ગૌરાંગ રામી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંશોધન આધારિત વ્યાખ્યાનોમાં સરદાર પટેલના દૃઢ અને રાષ્ટ્રકેન્દ્રિત નેતૃત્વના મહત્વને ઉજાગર કર્યું હતું. તેમણે જણાવ્યું કે તેમની નીતિઓ આજના સમયમાં પણ સંઘીય સંતુલન, નીતિનિર્માણ અને આંતરિક સુરક્ષાના ક્ષેત્રમાં માર્ગદર્શક બની શકે છે. એક્સપર્ટ સ્પીકર્સ તરીકે ડૉ. સુજાતા મિશ્રા અને ડૉ. હિતેશ પટેલે વહીવટી નવીનતા, નૈતિક નેતૃત્વ અને વૈશ્વિક શાસનની બદલાતી પરિસ્થિતિઓના સંદર્ભમાં સરદાર પટેલના વિચારોની ઉપયોગિતા પર પ્રકાશ પાડ્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે મજબૂત અને પારદર્શક વહીવટ માટે દૃઢતા અને નૈતિક મૂલ્યોનું સંકલન અનિવાર્ય છે. સેમિનાર દરમિયાન યોજાયેલા ટેકનિકલ સત્રોમાં સંશોધકો અને પ્રાધ્યાપકોએ પોતાના સંશોધન પત્રો રજૂ કર્યા હતા. રાષ્ટ્ર એકીકરણ, સંઘવાદ અને આધુનિક શાસનના વિવિધ આયામો પર થયેલી ચર્ચાઓએ બૌદ્ધિક સંવાદને વધુ સમૃદ્ધ બનાવ્યો. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિભાગીઓની હાજરીએ કાર્યક્રમને વૈશ્વિક પરિપ્રેક્ષ્ય પૂરું પાડ્યું. સમાપન સત્રમાં શ્રી માધવ ચંદ્રએ પ્રેરણાદાયક પ્રવચન આપતાં જણાવ્યું કે સરદાર પટેલના વિચારોને માત્ર ઐતિહાસિક સંદર્ભ સુધી મર્યાદિત રાખવાને બદલે તેને આધુનિક ભારતના વહીવટી અને નૈતિક માળખામાં લાગુ કરવા જરૂરી છે. આ સેમિનાર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ એન. ચાવડાના માર્ગદર્શન અને રજિસ્ટ્રાર ડૉ. આર. સી. ગઢવીના પ્રશાસકીય સહકારથી સફળ રહ્યો હતો. વિભાગાધ્યક્ષ ડૉ. મધુ એમ. થવાનીના નેતૃત્વ હેઠળ આયોજન સમિતિના સભ્યોના સંકલિત પ્રયાસોથી સેમિનાર સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો. ડો. દીપિકા ગુપ્તા સહિતના અધ્યાપકોએ પણ જરૂરી સહયોગ આપ્યો હતો.
નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, પાટણ સંચાલિત પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલ અને શ્રી વી.આર.પટેલ ઉ.મા. શાળા પાટણ ખાતે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક પ્રગતિના હેતુથી એક વિશેષ વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય શાળા, શિક્ષક, વિદ્યાર્થી અને વાલીના સુમેળ દ્વારા વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ સાધવાનો હતો. શાળાના આચાર્ય ડૉ. ઝેડ.એન. સોઢાએ પ્રથમ અને દ્વિતીય પરીક્ષાના પરિણામોનું તાર્કિક વિશ્લેષણ વાલીઓ સમક્ષ રજૂ કર્યું હતું. તેમણે ખાસ કરીને વિજ્ઞાન પ્રવાહના મુખ્ય વિષયો જેવા કે ભૌતિક વિજ્ઞાન (Physics) અને રસાયણ વિજ્ઞાન (Chemistry) માં વિદ્યાર્થીઓની મહેનત અને પકડ મજબૂત કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો. આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે માત્ર ગુણ મેળવવા પૂરતું નથી, પરંતુ વિષયનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન જ કારકિર્દીના ઘડતરમાં પાયો બને છે. આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યની જાળવણી માટે મનોમંથન સેશનનું મહત્વ સમજાવતા ડૉ. સોઢાએ વાલીઓને અપીલ કરી હતી કે, તેઓ બાળકની ક્ષમતાને સમજી તેને યોગ્ય પ્રોત્સાહન પૂરું પાડે. વિદ્યાર્થી તણાવમુક્ત રહીને અભ્યાસ કરે તે માટે શાળા અને પરિવાર બંનેએ ચિંતન કરવું અનિવાર્ય છે. શાળાના સુપરવાઈઝર ગમનભાઈ સુથારે વાલીઓને સંબોધતા 'બાળકના વિકાસના હુંકાર' વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જ્યારે શાળા અને વાલી એક જ દિશામાં પ્રયત્નશીલ બને ત્યારે જ બાળકનો શ્રેષ્ઠ વિકાસ શક્ય બને છે. શિક્ષકો વતી ભરતભાઈ રાજન તેમજ વર્ગ શિક્ષકો શ્રી મુળજીભાઈ ચૌધરી અને શ્રીમતી કિન્નરીબેન પટેલ દ્વારા વાલીઓ સાથે સીધો અને પ્રેરણાત્મક સંવાદ સાધવામાં આવ્યો હતો. આ તકે શૈક્ષણિક પાસાઓ સાથે વિદ્યાર્થીઓની વ્યક્તિગત કુશળતા (Soft Skills) ખીલવવા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મીટિંગના અંતિમ ચરણમાં વાલીઓ દ્વારા પૂછવામાં આવેલા વિવિધ પ્રશ્નો અને મુંઝવણોનું શાળા પરિવાર દ્વારા સંતોષકારક અને હકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું હતું. વાલીઓએ શાળાની આ પહેલને બિરદાવી હતી અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવા આયોજનથી વિદ્યાર્થીઓના પરિણામમાં ચોક્કસ સુધારો આવશે.
લાખવડ પગાર કેન્દ્ર શાળામાં 21મી ફેબ્રુઆરીના રોજ માતૃભાષા દિનની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ માતૃભાષાના ગૌરવગાન ગીતને સમૂહમાં અભિનય સાથે રજૂ કરીને આનંદ માણ્યો હતો. ઉજવણીના ભાગરૂપે, ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓએ માતૃભાષાના મહત્વ વિશે પોતાના મૌલિક મંતવ્યો રજૂ કર્યા. તેમણે માતૃભાષાને લગતી કવિતાઓ, શાયરીઓ અને સુવિચારો પણ રજૂ કરીને સૌને પ્રભાવિત કર્યા. આ ઉપરાંત, વિદ્યાર્થીઓએ વેશભૂષા ધારણ કરીને ઝવેરચંદ મેઘાણી, ગિજુભાઈ બધેકા, નરસિંહ મહેતા અને મીરાબાઈ જેવા પ્રખ્યાત કવિઓના જીવન પરિચય વિશે મૌલિક રજૂઆતો કરી. આ પ્રવૃત્તિએ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવ્યા. કાર્યક્રમના અંતે, વિદ્યાર્થીઓએ સ્માર્ટ બોર્ડ પર ગુજરાતીમાં પોતાની સહી કરીને માતૃભાષા દિનના મહત્વને સમજ્યું અને તેની ઉજવણીનો ભરપૂર આનંદ લીધો.
ભાવનગરની ગવર્નમેન્ટ મેડિકલ કોલેજના વરિષ્ઠ મેડિકલ એજ્યુકેશનિસ્ટ ડૉ. ચિનમય શાહને MEU INDIA દ્વારા પ્રતિષ્ઠિત ડૉ. રિટા સૂદ મેમોરિયલ ઓરેશન આપવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ ઓરેશન 21 ફેબ્રુઆરી, 2026ના રોજ રાષ્ટ્રીય ડિજિટલ પ્લેટફોર્મ પર યોજાયું હતું. આ કાર્યક્રમમાં દેશભરના હજારો હેલ્થ પ્રોફેશન શિક્ષકો જોડાયા હતા. ડૉ. શાહે “Designing Joyful Learning Journeys: Technology, Feedback and Reflection in Health Professions Education” વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે શીખવાની પ્રક્રિયાને આનંદદાયક અને અસરકારક બનાવવા માટે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ, રચનાત્મક ફીડબેક સિસ્ટમ અને રિફ્લેક્ટિવ લર્નિંગના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે પોતાના સંસ્થાના અનુભવ પરથી કેસ-બેઝ્ડ અને બ્લેન્ડેડ લર્નિંગ, લર્નિંગ એનાલિટિક્સ અને સ્ટુડન્ટ સપોર્ટ સિસ્ટમ્સ જેવા નવતર અભિગમો રજૂ કર્યા હતા. ડૉ. ચિનમય શાહ ઇન્ટરનેશનલ FAIMER ઇન્સ્ટિટ્યૂટ, ફિલાડેલ્ફિયા (USA)ના ફેલોઉ છે અને હેલ્થ પ્રોફેશન એજ્યુકેશનમાં વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત કરી છે. તેઓ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, ભાવનગરમાં Competency-Based Medical Education (CBME)ના અમલીકરણમાં અગત્યની ભૂમિકા ભજવી રહ્યા છે. વધુમાં, તેઓ ફેકલ્ટી ડેવલપમેન્ટ કાર્યક્રમો, શિક્ષણમાં નવતર પ્રયોગો અને શૈક્ષણિક સંશોધનમાં સક્રિય છે. તેમની આ સિદ્ધિ સંસ્થા માટે ગૌરવની બાબત છે અને મેડિકલ એજ્યુકેશન ક્ષેત્રમાં તેમના મહત્વપૂર્ણ યોગદાનને પ્રતિબિંબિત કરે છે.
વીર નર્મદ યુનિવર્સિટીમાં 7મી રાષ્ટ્રીય પરિષદનું આયોજન:BTSE-2026માં પર્યાવરણ સંરક્ષણ પર વિચારવિમર્શ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના જીવવિજ્ઞાન વિભાગ દ્વારા PM-USHA MERU Soft Component હેઠળ “બાયોલોજિકલ ટૂલ્સ ફોર સસ્ટેનેબલ એન્વાયરમેન્ટ (BTSE-2026)” શીર્ષક હેઠળ 7મી રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું. આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ માટે જીવવિજ્ઞાન આધારિત સાધનો અને સંશોધનો પર વિચારવિમર્શ કરવાનો હતો. પરિષદના મુખ્ય અતિથિ તરીકે ભરૂચ સોશિયલ ફોરેસ્ટ્રી સર્કલના કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ આનંદ કુમાર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ટકાઉ વન વ્યવસ્થાપન, જૈવવૈવિધ્ય સંરક્ષણ અને પર્યાવરણ સુરક્ષામાં સ્થાનિક સમુદાયની સક્રિય ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો. કુમારે જણાવ્યું કે પ્રકૃતિ સાથે સંતુલિત વિકાસ એ સમયની જરૂરિયાત છે. બિરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઑફ પેલિયોસાયન્સિસના ડિરેક્ટર ડૉ. મહેશ ઠક્કરે “Understanding Environmental Stress and Recovery through Geological Time: Implications for Modern Life Sciences” વિષય પર વ્યાખ્યાન આપ્યું. તેમણે ભૂસ્તરીય સમયગાળા દરમિયાન પર્યાવરણીય પરિવર્તનો અને આધુનિક જીવન વિજ્ઞાન પર તેની અસરો વિશે ચર્ચા કરી. સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ ડૉ. હિતેશ સરવૈયાએ “Marine Environment: Sustainable Critical Metals Mining from Seawater Resources” વિષય પર માર્ગદર્શન આપ્યું. તેમણે સમુદ્રજળમાંથી મહત્વપૂર્ણ ધાતુઓના ટકાઉ ઉત્ખનન અને તેની વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે માહિતી આપી. સર પી.પી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સના એસોસિએટ પ્રોફેસર ડૉ. આશિષ શુક્લાએ “Reintegrating Indian Knowledge Systems with Modern Biosciences: Ecological Ethics from Vedic Thought to Sustainable Futures” વિષય પર વ્યાખ્યાન આપ્યું. તેમણે વૈદિક વિચારધારા અને આધુનિક બાયોસાયન્સના સંકલન દ્વારા ટકાઉ ભવિષ્યના નિર્માણનો માર્ગ સૂચવ્યો. આ પરિષદમાં દેશભરના સંશોધકો, પ્રોફેસરો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ જ્ઞાનના આદાનપ્રદાન, સંશોધન સહયોગ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીના સંદેશ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો.
એલ.જે. યુનિવર્સિટી, અમદાવાદ ખાતે 21 ફેબ્રુઆરી 2026ના રોજ ઉદ્યોગ અનુભવ કાર્યક્રમ (ગોળમેજ સંવાદ ૧.૦)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૧૮ એલ.જે. આઈ.એમ.બી.એ. વિદ્યાર્થીઓને ઉદ્યોગના અગ્રણી નિષ્ણાતો સાથે સીધો સંવાદ કરવાની તક મળી, જેનાથી તેમને વ્યાવસાયિક અપેક્ષાઓ સમજવામાં મદદ મળી. એલ.જે.કે. ટ્રસ્ટના ડિરેક્ટર ડૉ. વિરલ શાહની ઉપસ્થિતિમાં આ ગોળમેજ સંવાદ યોજાયો હતો. આ ખુલ્લા મંચ પર વિદ્યાર્થીઓને નિખાલસ પ્રશ્નો પૂછવાની, તાત્કાલિક પ્રતિસાદ મેળવવાની અને કારકિર્દી માટે ઉપયોગી વ્યવહારુ સ્પષ્ટતા મેળવવાની તક મળી. કાર્યક્રમમાં ટેકનોલોજી, ઉદ્યમશીલતા અને વ્યાવસાયિક ક્ષેત્રના ત્રણ નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. તેમાં એલ્સ્નર ટેક્નોલોજીઝના સ્થાપક અને સીઈઓ શ્રી હર્ષલ શાહ, એકોરડ્જના સ્થાપક અને સીઈઓ શ્રી જિગર પરેખ અને ઇથોસના શ્રી મહર્ષિ ભટ્ટનો સમાવેશ થાય છે. ચર્ચાના મુખ્ય વિષયો ઉદ્યોગ તૈયારી, કાર્યસ્થળની સંસ્કૃતિ અને ઉદ્યોગજ્ઞાનની ઊંડાણ હતા. આવા કાર્યક્રમોના મહત્વ પર ભાર મૂકતા ડૉ. વિરલ શાહે જણાવ્યું કે, આજના સમયમાં ઉદ્યોગ અનુભવ શિક્ષણનો અનિવાર્ય ભાગ છે. જ્યારે વિદ્યાર્થીઓ અનુભવી વ્યાવસાયિકો સાથે સીધો સંવાદ કરે છે, ત્યારે તેમને વાસ્તવિક કાર્યસ્થળની અપેક્ષાઓ અને ગતિશીલતા વિશે સ્પષ્ટતા મળે છે. સતત શીખવાની અને અનુકૂલનશીલ બનવાની જરૂરિયાત અંગે હર્ષલ શાહે કહ્યું, તમારું શિક્ષણ તમને આધાર આપે છે, પરંતુ તમારી વૃદ્ધિ તમારી જિજ્ઞાસા અને સતત પ્રયત્નો પર આધાર રાખે છે. સમસ્યા હલ કરવાની દૃષ્ટિ પર પ્રકાશ પાડતા જિગર પરેખે નોંધ્યું કે, મહત્વનું એ છે કે તમે સમસ્યાઓને કેવી રીતે જુઓ છો અને તમારી વિચારસરણી કેટલી સ્પષ્ટ રીતે રજૂ કરો છો. શ્રી મહર્ષિ ભટ્ટે વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ, પ્રોજેક્ટ્સ અને ટીમવર્કને સહકાર અને પ્રતિસાદ દ્વારા વિકાસ માટેની તાલીમ તરીકે જોવા પ્રોત્સાહિત કર્યા. આ કાર્યક્રમના પરિણામે વિદ્યાર્થી-ઉદ્યોગ જોડાણ વધુ મજબૂત બન્યું. ભવિષ્યમાં આવા વધુ ગોળમેજ સંવાદો, માર્ગદર્શનાત્મક જોડાણો અને કૌશલ્ય-કેન્દ્રિત પ્રવૃત્તિઓ યોજવા માટે દિશા નક્કી થઈ.
લુણાવાડા પોલીસે કતલખાને જતા 3 બળદ બચાવ્યા:પીકઅપ ડાલા સાથે 3 આરોપી ઝડપાયા, ગુનો દાખલ
લુણાવાડા ટાઉન પોલીસે કતલખાને લઈ જવાઈ રહેલા ત્રણ બળદોને બચાવી લીધા છે. પોલીસે એક પીકઅપ ડાલાને ઝડપી પાડી તેના ચાલક સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહી મહીસાગર જિલ્લામાં ગેરકાયદેસર પશુઓની હેરાફેરી રોકવા માટે કરવામાં આવી હતી. મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન અને નાયબ પોલીસ અધિક્ષક કમલેશ વસાવા દ્વારા ગેરકાયદેસર પશુઓની હેરાફેરી અટકાવવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એસ. વળવીને બાતમી મળી હતી કે, સંતરામપુર-આંબલીયા તરફથી લુણાવાડા તરફ એક પીકઅપ ડાલુ પશુઓ ભરીને કતલખાને લઈ જવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે લુણાવાડા ટાઉન પોલીસની ટીમે કંકાતળાવ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન સંતરામપુર તરફથી શંકાસ્પદ હાલતમાં આવી રહેલા પીકઅપ ડાલા નંબર GJ-27-U-9885 ને રોકવાનો ઈશારો કરતા તેના ચાલકે ડાલુ મધવાસ દરવાજા થઈ ગુજરાત કોલેજ તરફ ભગાવ્યું હતું. પોલીસે પીછો કરીને ગુજરાત કોલેજ પાસે ડાલાને રોડની સાઈડમાં ઊભું રાખી ચાલક સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પીકઅપ ડાલાની તપાસ કરતા તેમાં ત્રણ બળદોને ક્રૂરતાપૂર્વક ટૂંકા દોરડા વડે બાંધી કતલ કરવાના ઈરાદે ભરેલા હોવાનું જણાયું હતું. પોલીસે આ બળદોને છોડાવી ગોધરા પાંજરાપોળ ખાતે મોકલવાની વ્યવસ્થા કરી હતી. પોલીસે કુલ ₹4,48,115 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જેમાં ત્રણ બળદ (₹30,000), ત્રણ મોબાઈલ ફોન (₹18,000), એક દોરડું (₹1,500) અને પીકઅપ ડાલુ (₹4,00,000) નો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓ રમેશભાઇ પ્રતાપભાઇ બારીયા, વિનોદભાઇ ભરતભાઇ બારીયા અને નરવતભાઇ કાળુભાઇ બારીયા (તમામ રહે. આંબલીયાત, તા. સંતરામપુર, જી. મહીસાગર) વિરુદ્ધ બી.એન.એસ. કલમ 281, પશુ પ્રત્યે ઘાતકીપણું અટકાવવાના અધિનિયમ 1960 ની કલમ 11 ડી.ઇ.એફ., ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ 1954 ની કલમ 5, 6, 8 તથા સુધારા અધિનિયમ 2017 ની કલમ 5(1-ડી), 6(એ), 8(4), 10 જીપીએક્ટ કલમ 119 મુજબ લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
અનગઢ રેલવે ટ્રેક પરથી શંકાસ્પદ એક્સપ્લોઝિવ મળી આવવાના ચકચારી મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ કેસમાં જે વ્યક્તિએ ફરિયાદી બનીને પોલીસને જાણ કરી હતી, તે જ મુખ્ય આરોપી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે 47 વર્ષીય મુસ્તાક અહમદ મોહમદ શેખની ધરપકડ કરી છે. આરોપી મુસ્તાક આર્મીમાંથી રિટાયર્ડ થયેલ છે અને વર્ષ 2024થી વડોદરાના શેરખી વિસ્તારમાં રહેતો હતો. તે રેલવે પોલીસમાં ત્રણ વર્ષના કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતો હતો. તપાસમાં સામે આવ્યું છે કે રેલવેમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓને રિવોર્ડ અથવા કોન્ટ્રાક્ટમાં એક્સ્ટેન્શન મળતું હોય છે. પોતાનો 2024 થી 2026 સુધીનો કોન્ટ્રાક્ટ લંબાવવા અને ઉચ્ચ અધિકારીઓની નજરમાં આવવા માટે મુસ્તાકે આ આખું ષડયંત્ર રચ્યું હતું. તેણે નજીકના એક લગ્ન પ્રસંગમાંથી 'કોલ્ડ પાયરો' નામનો પદાર્થ મેળવ્યો હતો અને તેને રેલવે ટ્રેક પર પ્લાન્ટ કરી પોતે જ તેની જાણકારી આપી હતી. મુસ્તાકની શંકાસ્પદ હિલચાલને પગલે ક્રાઈમ બ્રાન્ચ અને લોકલ પોલીસે તેની કડક પૂછપરછ કરી હતી, જેમાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે.
નવસારીના વિજલપોર વિસ્તારમાં મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપિત કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આશાપુરી મંદિર પાસે આવેલા સર્કલ પર આ પ્રતિમા મૂકવામાં આવશે. તેના નિર્માણમાં રાજસ્થાનના હલ્દીઘાટી અને કુંભલગઢની પવિત્ર માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાજપૂત અગ્રણી રમેશભાઈ જાદવે જણાવ્યું કે, હલ્દીઘાટી, જ્યાં મહારાણા પ્રતાપના શૌર્યની ગાથા જોડાયેલી છે, અને કુંભલગઢ, જ્યાં તેમનો જન્મ થયો હતો, ત્યાંથી ખાસ પવિત્ર માટી મંગાવવામાં આવી છે. આ માટીને પ્રતિમાના ફાઉન્ડેશનમાં અર્પણ કરવામાં આવી છે. તેનો હેતુ આવનારી પેઢીઓને મહારાણા પ્રતાપના આશીર્વાદ અને શૌર્યની સ્મૃતિ આપવાનો છે. વિજલપોરમાં વસતા ઉત્તર ભારતીય, બિહારી, મહારાષ્ટ્રીયન અને સૌરાષ્ટ્રના તમામ રાજપૂત સમાજના લોકોમાં આ પ્રતિમાને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમાજના લોકો પ્રતિમાના ઝડપી નિર્માણ અને સ્થાપના માટે ઉત્સુક છે. પ્રતિમાના નિર્માણ માટે આગામી 15 તારીખે જયપુરમાં ઓર્ડર આપવામાં આવ્યો છે. કારીગરોએ પ્રતિમા તૈયાર કરવા માટે આશરે બે મહિનાનો સમય આપ્યો છે. લોકાર્પણની પ્રક્રિયા અંદાજે ત્રણથી ચાર મહિનામાં પૂર્ણ કરવામાં આવશે, જેમાં ઉદ્ઘાટન કરનાર મહાનુભાવની ઉપલબ્ધતા ધ્યાનમાં લેવાશે. આ પ્રતિમાના સ્થાપનથી વિજલપોર વિસ્તારમાં વીર શિરોમણી મહારાણા પ્રતાપની સ્મૃતિ કાયમ માટે જીવંત રહેશે.
BAPS વડા મહંત સ્વામિ મહારાજ ભાવનગરમાં 8 વર્ષનાં લાંબા અંતરાલ બાદ સ્વામી ભાવનગર ખાતે પધારી રહ્યા હોય સંતો, હરિભક્તો અને નગરજનોમાં અનેરો ઉત્સાહ દેખાય રહ્યો છે અને ભાવનગર BAPS સ્વામિનારાયણ મંદિર, અક્ષરવાડીને 20 વર્ષ પૂર્ણ થઇ રહ્યા હોય 'ભાવનગર મંદિર દ્વિદશાબ્દિ મહોત્સવ' નું પણ આયોજન કરવામાં આવ્યું છે, આ ઉત્સવો અનુસંધાને ભાવનગર અક્ષરવાડી ખાતે આજે રવિવારના રોજ શહેરના મહાનુભાવો અને આજુબાજુનાં ગામનાં સરપંચો સહિત અનેક ભાવિક ભક્તો અને સાથે શહેરના તમામ પ્રેસ મીડિયા પરિવારનાં મિત્રોનું સંમેલન રાખવામાં આવ્યું હતું, રવિવારે રાખવામાં આવેલ આ સંમેલનમાં 300 થી ઉપરાંતની સંખ્યામાં મહાનુભાવોનું સ્વાગત બાદ સારંગપુરથી પધારેલ સંસ્થાનાં વિદ્વાન સંત જ્ઞાનનયન સ્વામી દ્વારા પૂજ્ય મહંત સ્વામિ મહારાજ અને સંસ્થાનાં વિશિષ્ટ કાર્યો વિશે સુંદર અને પ્રવચન અને અંતમાં અક્ષરવાડીનાં વરિષ્ઠ સંત સોમપ્રકાશ સ્વામી દ્વારા ઉત્સવો માટે સૌને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. સારંગપુરથી પધારેલ સંસ્થાનાં વિદ્વાન સંત જ્ઞાનનયન સ્વામીએ જણાવ્યું હતું કે, આ 8 વર્ષના અંતરાલમાં એમણે યુગવર્તી કાર્યો કર્યા, એ સંપન્ન કરીને આવે છે અબુધાબીની અંદર જે BAPS હિન્દુ મંદિર શોભી રહ્યું છે, એ બનાવીને આવે છે રોબિન્સવિલની અંદર ભારતની બહાર દુનિયાનું બીજા નંબરનું સૌથી મોટું હિન્દુ મંદિર, એનું દુનિયાને પ્રદાન કરીને મહંત સ્વામી મહારાજ ભાવનગરના આંગણે પધારે છે એટલે બધા હરિભક્તોને પણ ખૂબ ઉત્સાહ છે, બધા ભાવિકોને પણ એમને વધાવવાનો ખૂબ આનંદ છે. 2જી એપ્રિલે સ્વામીનું આગમન થશે અને એક નાની આગમનની સભા છે. અને પછી 15 એપ્રિલ સુધી એ અહીંયા રોકાવાના છે અને બધા જુદા જુદા પ્રેરક કાર્યક્રમો થવાના છે સાથે સાથે એમને વધાવવા માટે પણ બધા અનેક પ્રકારના આયોજનો ચાલી રહ્યા છે ઘણા બધા લોકો તપ, વ્રત, ઉપવાસ કરી રહ્યા છે નાના-નાના બાળકો વ્યસન મુક્તિ કરાવી રહ્યા છે અત્યારે બાળકોના બધા વૃંદ ફરે છે અને મહંત સ્વામી મહારાજનું આગમન થવાનું છે એ નિમિત્તે ગલીએ ગલીએ જઈને, દુકાને દુકાને જઈને, જેને કોઈને પણ નાનું મોટું વ્યસન હોય તમાકુ વગેરેનું, એને છોડાવવા માટે નાના-નાના બાળકો પ્રેરણા આપે છે અને બધાને વ્યસન છોડાવે છે, ઘણા બધા નાના-નાના બાળકો-બાલિકાઓ હોસ્પિટલમાં જઈને જે દર્દીઓ હોય એ જલ્દી સાજા થઈ જાય એના માટે ભગવાનને પ્રાર્થના કરે છે આ મહંત સ્વામી મહારાજના આગમન નિમિત્તે. તો આવા પણ અનેક પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે, ભાવનગરના બધા જ પ્રજાજનો માટે એક સંદેશ છે કે સંત આપણે ભાવનગરના આંગણે પધારી રહ્યા છે. ભાગવતમાં સંતનો મહિમા કહેતા કહ્યું કે, 'સાધુનામ દર્શનમ પુણ્યમ, તીર્થભૂતા હી સાધવ:'. આવા સંત સાક્ષાત એ તીર્થ સ્વરૂપ હોય છે, તો એમના દર્શન કરવા માટે પધારવા સમસ્ત ભાવનગરની જનતાને ભાવભર્યું હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.
ભરૂચમાં ગોપાલક મંડળનો નવમો સમૂહ લગ્નોત્સવ યોજાયો:16 યુગલોએ પ્રભુતામાં ડગ માંડી નવા જીવનની શરૂઆત કરી
ભરૂચ જિલ્લા ગોપાલક મંડળ દ્વારા દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે નવમા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 16 યુગલોએ પ્રભુતામાં ડગ માંડી નવા જીવનની શરૂઆત કરી. આ સમૂહ લગ્નોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં સાદગીપૂર્ણ અને ખર્ચ બચાવતા લગ્નોને પ્રોત્સાહન આપવાનો હતો. સમાજના અગ્રણીઓ દિનેશ આહિર, લક્ષ્મણ આહિર અને બાબુ આહિરના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો. સમૂહ લગ્નોત્સવમાં પરંપરાગત વિધિઓ, મંગલફેરા અને વડીલોના આશીર્વચન સાથે ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુ, માં મણીબા ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક ધનજી પરમાર અને બળદેવ આહિર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવદંપતિઓને આશીર્વાદ પાઠવી શુભકામનાઓ આપી હતી. વક્તાઓએ સમૂહ લગ્નની આ પહેલને સમાજ માટે અત્યંત લાભદાયી ગણાવી હતી. તેમણે જણાવ્યું કે આવા કાર્યક્રમોથી સામાજિક સમરસતા મજબૂત બને છે, આર્થિક રીતે નબળા વર્ગોને રાહત મળે છે અને બિનજરૂરી ખર્ચ ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજજનો હાજર રહી નવદંપતિઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમૂહ લગ્નોત્સવ સમાજમાં એકતા, સહકાર અને સંસ્કારની ભાવનાને મજબૂત બનાવવામાં સફળ રહ્યો.
દહેગામ-મગોડી હાઈવે પર નાયરા પેટ્રોલ પંપ નજીક આજે બે કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૂળ પ્રાંતિજના એક 27 વર્ષીય યુવાનનું કરૂણ મોત નીપજ્યું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારની એરબેગ્સ ખુલી જવા છતાં યુવાનનો જીવ બચી શકયો ન હતો. આ ઘટનામાં યુવાનની પત્ની સહિત અન્ય ત્રણ મહિલાઓ અને અન્ય કારના ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ અંગે હાલમાં ચિલોડા પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. બે કાર સામસામે ધડાકાભેર ટક્કર થઈપ્રાપ્ત માહિતી મુજબ પ્રાંતિજના વાઘરોટા ગામના વતની ભગીરથભાઈ શૈલેષભાઈ પટેલ જેટકો કંપનીમાં નોકરી કરતા હતા. તેઓ તેમના પત્ની અને બે સાથી મહિલા કર્મચારીઓ સાથે કારમાં મહેસાણા ખાતે એક સ્ટાફ કર્મચારીના લગ્ન પ્રસંગમાં ગયા હતા. આ લગ્ન પતાવીને તેઓ પરત ફરી રહ્યા હતા, ત્યારે નાયરા પેટ્રોલ પંપથી આશરે 50 મીટર દૂર તેમની કાર અને અન્ય એક કાર વચ્ચે સામસામે ધડાકાભેર ટક્કર થઈ હતી. સાંપા ગામના ઉપ સરપંચના પતિ પણ ઈજાગ્રસ્તઆ અકસ્માતના પગલે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બાદમાં લોકોએ તુરંત 108 એમ્બ્યુલન્સને જાણ કરી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. આ અકસ્માતમાં સાંપા ગામના ઉપ સરપંચના પતિ જગદીશભાઈ પટેલને પણ ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથચિલોડા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મોહનભાઈએ જણાવ્યું હતું કે, અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મૃતક ભગીરથભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હાલમાં પંચનામું અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. લગ્નના હર્ષોલ્લાસ વચ્ચે બનેલી આ ઘટનાથી વાઘરોટા ગામ અને પટેલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ભોલેશ્વર સ્થિત સાબર સ્ટેડિયમ ખાતે આજથી U-11, U-14 અને U-17 બહેનોની રાજ્યકક્ષાની બે દિવસીય સ્વિમિંગ સ્પર્ધાનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે ફ્રી સ્ટાઇલ, બ્રેસ્ટસ્ટ્રોક, બેક સ્ટ્રોક અને બટરફ્લાય જેવી ઇવેન્ટ્સની ફાઇનલ યોજાઈ હતી. આ સ્પર્ધામાં U-11 એજ ગ્રુપમાં 100થી વધુ, U-14 માં 150થી વધુ અને U-17 માં 150થી વધુ બહેનોએ ભાગ લીધો છે. આમ, કુલ 400થી વધુ ખેલાડીઓ પોતાની પ્રતિભા દર્શાવી રહી છે. દિવસ દરમિયાન U-11, U-14 અને U-17 એજ ગ્રુપમાં IM, 400 મીટર, 100 મીટર ફ્રી સ્ટાઇલ, 100 મીટર બ્રેસ્ટસ્ટ્રોક, 50 મીટર બેકસ્ટ્રોક, 50 મીટર બટરફ્લાય અને 200 મીટર IM સહિતની વિવિધ ઇવેન્ટ્સ યોજાઈ હતી. સાંજે 8 ઇવેન્ટ્સની ફાઇનલ રમાઈ હતી. આ ફાઇનલ ઇવેન્ટ્સમાં વિજેતા ખેલાડીઓને સાબરકાંઠા જિલ્લાના રમતગમત અધિકારી એમ.એન. ચૌધરી અને ત્રિવેણીબેન સરવૈયાના હસ્તે બ્રોન્ઝ, સિલ્વર અને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આવતીકાલે રાજ્યકક્ષાની U-14 અને U-17 ની ટાઈમ ટ્રાયલ ફાઇનલ, હીટ્સ અને સાંજે ફાઇનલ યોજાશે. આ સ્પર્ધાને સફળ બનાવવા કોચ સહિતના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.
અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં આગામી 3 માર્ચ, મંગળવારના રોજ ફાગણી પૂનમ અને હોળીના પર્વે ચંદ્રગ્રહણને ધ્યાનમાં રાખીને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગ્રહણના વેધના કારણે મંદિર તેના નિયત સમય કરતાં એક કલાક વહેલું એટલે કે સવારે 5:00 વાગ્યે ભક્તો માટે ખોલવામાં આવશે. ગ્રહણ અને વેધનો સમયચંદ્રગ્રહણનો પ્રારંભ બપોરે 3:20 વાગ્યે થશે અને સાંજે 6:47 વાગ્યે ગ્રહણ મોક્ષ થશે. શાસ્ત્રોક્ત નિયમો મુજબ ગ્રહણનો વેધ બપોરે 1:30 વાગ્યાથી શરૂ થતો હોવાથી મંદિરના ગર્ભગૃહની જાળી બપોરે 1:30 થી રાત્રે 8:30 સુધી બંધ રાખવામાં આવશે. આ સમયગાળા દરમિયાન ભક્તો ઠાકોરજીના દર્શન માત્ર બહારની જાળીમાંથી જ કરી શકશે. ગ્રહણ પૂર્ણ થયા બાદ મંદિરમાં પ્રક્ષાલન વિધિ (શુદ્ધિકરણ) કરવામાં આવશે. દર્શન અને આરતીનું નવું સમયપત્રકપુષ્ટિમાર્ગીય પરંપરા મુજબ ગ્રહણના દિવસે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સંધ્યા આરતી બાદ ગર્ભગૃહની મુખ્ય જાળી બંધ કરાશેબપોરે 1:30 વાગ્યા પછી સંધ્યા આરતી પૂર્ણ કરી ગર્ભગૃહની મુખ્ય જાળી બંધ કરી દેવામાં આવશે, પરંતુ ભક્તો માટે દર્શનની વ્યવસ્થા જાળી વાટે ચાલુ રહેશે. ફાગણી પૂનમના દિવસે દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને આ સમયની નોંધ લેવા મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે.
દમણ પોલીસે બિહારનો કુખ્યાત નક્સલી ઝડપ્યો:ઓપરેશન ‘મિડનાઈટ’ હેઠળ ડાભેલમાંથી ધરપકડ, 100 રૂમની તપાસ
દમણ પોલીસે 'ઓપરેશન મિડનાઈટ' હેઠળ બિહારના કુખ્યાત નક્સલી મનોજ હાંસદાની ધરપકડ કરી છે. હત્યા સહિતના ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હાંસદાને દમણના ડાભેલ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ઓપરેશનમાં પોલીસે 100 જેટલા રૂમોની તપાસ કરી હતી.દમણ પોલીસને 20 ફેબ્રુઆરીના રોજ બિહારની સશસ્ત્ર સીમા બલ (SSB) તરફથી ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમી અનુસાર, બિહારના જમુઈ જિલ્લાનો વોન્ટેડ નક્સલી મનોજ હાંસદા ડાભેલ પોલીસ સ્ટેશનની હદમાં છુપાયો હતો. આ માહિતી મળતા જ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ, TAC સેલ અને ડાભેલ પોલીસની એક વિશેષ ટીમ બનાવવામાં આવી હતી.પોલીસ ટીમે ડાભેલ વિસ્તારમાં રાતભર સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. રહેણાંક વિસ્તારો અને ચાલીઓમાં આશરે 100 જેટલા રૂમોની તપાસ કરવામાં આવી હતી. આખરે, પોલીસ મનોજ હાંસદાને શોધી કાઢવામાં સફળ રહી અને તેની અટકાયત કરી.પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી બિહારમાં સક્રિય નક્સલી જૂથ સાથે સંકળાયેલો છે. તેની સામે અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. વર્ષ 2025માં બિહારના ચરકાપાથર પોલીસ સ્ટેશનમાં તેની સામે હત્યાનો કેસ (BNS સેક્શન 103(1)) નોંધાયો હતો. તે વર્ષ 2013 થી આર્મ્સ એક્ટ અને નક્સલી સંગઠન સાથે જોડાયેલી કલમો હેઠળ ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતો.મનોજ હાંસદા સુરત અને દમણના ડાભેલ વિસ્તારમાં નામ બદલીને રહેતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. દમણ પોલીસે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કરતા, બિહાર પોલીસની ટીમ તેને વધુ તપાસ માટે બિહાર લઈ ગઈ છે.
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારના પીપળી ગામની કારી સીમમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક બોલેરો પીકઅપ ગાડીમાંથી કુલ ₹17,09,120 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં દારૂ અને વાહનનો સમાવેશ થાય છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) એ જિલ્લામાંથી દારૂ અને જુગારની બદીને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે વિવિધ ટીમો બનાવી હતી. તેમણે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ખાસ પેટ્રોલિંગ હાથ ધરીને ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી કરતા વાહનો અંગે ચોક્કસ બાતમી મેળવી પરિણામલક્ષી કામગીરી કરવા LCB ને સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, LCB પોલીસ ઇન્સ્પેક્ટર, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ. રાયમાએ LCB અને પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી હતી. આ ટીમોએ જિલ્લાના હાઈવે પર પેટ્રોલિંગ દરમિયાન બજાણાથી પીપળી ગામ તરફ જતા રસ્તે, પીપળી ગામની કારી સીમમાં એક મહિન્દ્રા બોલેરો પીકઅપ ડાલા (રજી. નં. GJ.06.AZ.6076) ને રોકી હતી. વાહનની તપાસ કરતા તેમાંથી ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂની નાની અને મોટી કુલ 1500 બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹10,56,000 હતી. આ ઉપરાંત, 696 બિયર ટીન પણ મળી આવ્યા હતા, જેની કિંમત ₹1,53,120 હતી. આમ, કુલ ₹12,09,120 નો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. દારૂ ઉપરાંત, ₹5,00,000 ની કિંમતની બોલેરો પીકઅપ ગાડી પણ જપ્ત કરવામાં આવી હતી, જેથી કુલ મુદ્દામાલની કિંમત ₹17,09,120 થઈ હતી. આ મામલે બોલેરો પીકઅપના ચાલક, માલિક અને તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ બજાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આરોપીઓ ફરાર છે અને તેમને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે. આ કામગીરીમાં LCB ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટરની રાહબરી હેઠળ પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ. રાયમા, તથા સ્ટાફના એ.એસ.આઇ. અસલમખાન મલેક, પો.હેડ કોન્સ યશપાલસિંહ રાઠોડ, પો.હેડ કોન્સ દશરથભાઇ ઘાંઘર, પો.કોન્સ. સંજયભાઇ પાઠક અને પો.કોન્સ. પ્રતાપસિંહ રાઠોડ જોડાયા હતા.
અમદાવાદ શહેરના શેલા વિસ્તારમાં આવેલા Club-O7માં 20, 21 અને 22 ફેબ્રુઆરી દરમિયાન ISAR-2026 નામની ત્રણ દિવસીય મોટી ફર્ટિલિટી કોન્ફરન્સ યોજાઈ હતી. આજે 22 ફેબ્રુઆરીએ તેનો છેલ્લો દિવસ હતો અને આ પ્રસંગે પ્રેસ કોન્ફરન્સ યોજીને ત્રણ દિવસ દરમિયાન થયેલી ચર્ચાઓ, સંશોધનો અને ફ્યુચર ને લગતી IVF વિશે માહિતી આપવામાં આવી. આ ઇવેન્ટમાં દેશ-વિદેશના નિષ્ણાતો એક જ મંચ પર ભેગા થયા હતા અને ફર્ટિલિટી તથા IVF ક્ષેત્રે નવી ટેકનોલોજી અને પદ્ધતિઓ વિશે ચર્ચા થઈ હતી. ખાસ વાત એ કહી શકાય કે, આ પ્રેસ કોન્ફરન્સમાં ડેકોરેશન માટે અમદાવાદની જાણીતી પોળ, ગાંધી આશ્રમ, અટલ બ્રિજ જેવી અનેક પ્રતિકૃતિઓથી સમગ્ર થીમ તૈયાર કરવામાં આવી હતી. ત્રણ દિવસ દરમિયાન 3000થી વધુ ડેલીગેટ્સે ભાગ લીધો આ કોન્ફરન્સનું આયોજન ઇનફર્ટિલિટી અને IVF નિષ્ણાત ડૉ. આર. જી. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓ અમદાવાદની સનફ્લાવર હોસ્પિટલ સાથે જોડાયેલા છે અને ગુજરાત ઇનફર્ટિલિટી એસોસિએશનના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ ઇવેન્ટનો મુખ્ય હેતુ હતો કે, આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક પ્રગતિનો લાભ વધુમાં વધુ દર્દીઓ સુધી પહોંચી શકે. આ ઇવેન્ટમાં ત્રણ દિવસ દરમિયાન આશરે 3000થી વધુ ડેલીગેટ્સે ભાગ લીધો હતો. 30 જેટલા વિદેશી વૈજ્ઞાનિકો ખાસ આમંત્રિત હતા જ્યારે ભારતભરમાંથી લગભગ 800 નિષ્ણાત સ્પીકર્સે વિવિધ સત્રોમાં ભાગ લીધો હતો. એમ્બ્રિયોલોજિસ્ટ, જીનેટિસિસ્ટ, એન્ડોક્રાઇનોલોજિસ્ટ, સોનોલોજિસ્ટ, ગાયનેકોલોજિસ્ટ અને એન્ડોસ્કોપિક સર્જન્સ સહિતના તબીબોએ તેમના અનુભવ અને સંશોધનો શેર કર્યા હતા. AI ટેક્નોલોજીના કારણે ગર્ભધારણનો સફળતા દર વધ્યો આ કોન્ફરન્સમાં ખાસ ભાર Artificial Intelligence એટલે કે AIના વધતા ઉપયોગ પર મૂકાયો હતો. નિષ્ણાતોએ સમજાવ્યું કે, હવે IVF પ્રક્રિયામાં AI અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને શ્રેષ્ઠ એમ્બ્રિયો પસંદ કરવો વધુ સચોટ બન્યો છે. અદ્યતન ઈમેજ એનાલિસિસ અને ટાઈમ-લૅપ્સ ઈન્ક્યુબેટર ટેકનોલોજી દ્વારા એમ્બ્રિયોની વૃદ્ધિ સતત નિરીક્ષણ હેઠળ રાખી શકાય છે. જેના કારણે ગર્ભધારણનો સફળતા દર વધ્યો છે. માઇક્રો-ફ્લુઈડિક ટેકનોલોજીથી બેસ્ટ સ્પર્મ પસંદ કરવાની પ્રક્રિયા પણ વધુ વૈજ્ઞાનિક બની છે. AI આધારિત પસંદગીથી સારવાર વધુ અસરકારક બની રહી છે અને દર્દીઓમાં વિશ્વાસ પણ વધ્યો છે. કેન્સરની સારવાર શરૂ કરતા પહેલા ફર્ટિલિટી સાચવવી મહત્વપૂર્ણફર્ટિલિટી પ્રિઝર્વેશન એટલે કે એગ અને સ્પર્મ ફ્રીઝિંગ વિશે પણ ખાસ ચર્ચા થઈ હતી. આજકાલ ઘણા યુવાનો કારકિર્દી, અભ્યાસ કે વ્યક્તિગત કારણોસર મોડા લગ્ન કરે છે. આવી સ્થિતિમાં સોશિયલ ફ્રીઝિંગ એક સારો વિકલ્પ બની રહ્યો છે. મહિલાઓ પોતાના એગ અને પુરુષો પોતાના સ્પર્મને ફ્રીઝ કરાવી શકે છે, જેથી ભવિષ્યમાં યોગ્ય સમયે માતા-પિતા બની શકે. 1થી 10 વર્ષ સુધી એમ્બ્રિયો અથવા એગ સુરક્ષિત રીતે સાચવી શકાય છે. ખાસ કરીને કેન્સર જેવી ગંભીર બીમારીના દર્દીઓ માટે સારવાર શરૂ કરતા પહેલા ફર્ટિલિટી સાચવવી ખૂબ મહત્વપૂર્ણ બની છે. પુરુષોમાં સ્પર્મ સંબંધિત સમસ્યાઓમાં 30થી 40 ટકા સુધીનો વધારો નોંધાયો પુરુષ વંધ્યત્વ વિષય પણ આ કોન્ફરન્સનો મહત્વપૂર્ણ મુદ્દો રહ્યો હતો. અગાઉ વંધ્યત્વ માટે માત્ર મહિલાઓને જવાબદાર માનવામાં આવતું હતું પરંતુ, હવે પુરુષોમાં પણ સ્પર્મ કાઉન્ટ ઘટવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં પુરુષોમાં સ્પર્મ સંબંધિત સમસ્યાઓમાં 30થી 40 ટકા સુધીનો વધારો નોંધાયો છે. લાઇફસ્ટાઇલ, તણાવ, ધુમ્રપાન, દારૂ, પ્રદૂષણ અને મેદસ્વિતા જેવા કારણો જવાબદાર ગણાય છે. હવે સર્જીકલ સ્પર્મ રિટ્રિવલ જેવી આધુનિક પદ્ધતિઓ દ્વારા મુશ્કેલ કેસોમાં પણ સારવાર શક્ય બની છે. IVF બાદ લગભગ 4થી 5 કલાકમાં દર્દી ઘરે જઈ શકે છેIVF પ્રક્રિયા વિશે પણ સરળ ભાષામાં માહિતી આપવામાં આવી હતી. ડૉ. પટેલે જણાવ્યું કે આજકાલ IVF એક ડે-કેર પ્રોસિજર બની ગયું છે. દર્દી જરૂરી ઇન્જેક્શન હવે પોતે લઈ શકે છે અને તેમાં ખાસ દુ:ખાવો કે સાઇડ ઇફેક્ટ નથી. એગ પીકઅપ સોનોગ્રાફીની મદદથી એનેસ્થેસિયા હેઠળ કરવામાં આવે છે અને લગભગ 4થી 5 કલાકમાં દર્દી ઘરે જઈ શકે છે. તે જ સમયે પતિનું સીમેન લેવામાં આવે છે અને લેબમાં શ્રેષ્ઠ સ્પર્મ પસંદ કરવામાં આવે છે. લેબોરેટરીમાં અદ્યતન કલ્ચર મીડિયા અને ઈન્ક્યુબેટરની મદદથી પાંચમા દિવસનો બ્લાસ્ટોસિસ્ટ એમ્બ્રિયો તૈયાર કરવામાં આવે છે અને પછી ગર્ભાશયમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. એબોર્શનનો દર ઘટે છે અને સ્વસ્થ બાળક જન્મવાની શક્યતા વધી જાય છેપ્રિ-ઇમ્પ્લાન્ટેશન જીનેટિક ટેસ્ટિંગ એટલે કે PGT વિશે પણ વિગતવાર સમજાવવામાં આવ્યું હતું. આ પદ્ધતિ દ્વારા ગર્ભમાં રહેલી જનેટિક ખામીઓ પહેલાંથી જાણી શકાય છે. જેના કારણે એબોર્શનનો દર ઘટે છે અને સ્વસ્થ બાળક જન્મવાની શક્યતા વધી જાય છે. આજની આધુનિક લેબોમાં એગ ફ્રીઝિંગ અને એમ્બ્રિયો ફ્રીઝિંગ બંને સુવિધા ઉપલબ્ધ છે, જે ભવિષ્ય માટે મોટી સુરક્ષા છે. દર 7માંથી એક કપલ ઇનફર્ટિલિટીનો સામનો કરે છેવિશ્વભરમાં ફર્ટિલિટી રેટ ઘટતો જાય છે અને ઇનફર્ટિલિટીનો દર વધતો જાય છે. ભારતમાં દર વર્ષે અંદાજે ત્રણ લાખ IVF સાઇકલ થાય છે, જ્યારે સમગ્ર વિશ્વમાં આશરે 30 લાખ IVF સાઇકલ થાય છે. દર 7માંથી એક કપલ ઇનફર્ટિલિટીનો સામનો કરે છે. એક્સેપ્ટેન્સ વધતા લોકો ખુલ્લેઆમ સારવાર વિશે ચર્ચા કરે છે અને સમયસર નિદાન તરફ આગળ વધી રહ્યા છે. આધુનિક જીવનશૈલી પણ ઇન્ફર્ટિલિટીમાં મોટું કારણ બની આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ માત્ર શહેર સ્તરે જ નહીં પરંતુ જિલ્લા અને તાલુકા સ્તરે પણ અદ્યતન સારવાર પહોંચાડવાનો હતો. નિષ્ણાતોએ જણાવ્યું કે, નવી ટેક્નિક સરળ બને અને ઓછા ખર્ચે ઉપલબ્ધ થાય, જેથી છેવાડાના દર્દીઓ સુધી પણ તેની પહોંચ બને. ઓછી સર્જરી, ઓછો આરામ સમય અને ઓછો વર્કલોસ આ દિશામાં સતત પ્રયત્નો થઈ રહ્યા છે. આધુનિક જીવનશૈલી પણ ઇનફર્ટિલિટીમાં મોટું કારણ બની રહી છે. તણાવ, ફાસ્ટ ફૂડ, વ્યાયામનો અભાવ અને અનિયમિત જીવનપ્રણાલી ગર્ભધારણમાં અડચણ ઉભી કરે છે. જ્યારે સામાન્ય સારવાર અસફળ જાય ત્યારે IVF એક આશાની કિરણ બની રહે છે. ફર્ટિલિટી અને રિપ્રોડક્ટિવ મેડિસિન ક્ષેત્રે આપણે વિશ્વસ્તરીય ટેકનોલોજી સાથે આગળ વધીએ છીએડૉ. આર.જી.પટેલે જણાવ્યું હતું કે, નિઃસંતાનપણું હવે અભિશાપ નથી. વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી તેનો ઉકેલ શક્ય છે. સમયસર નિષ્ણાતની સલાહ લેવાથી યોગ્ય માર્ગદર્શન મળી શકે છે અને સ્વસ્થ સંતાન પ્રાપ્ત કરવાની સંભાવના વધી શકે છે. ISAR 2026 દ્વારા અમદાવાદ અને ગુજરાતે ફરી એક વખત બતાવ્યું છે કે, ફર્ટિલિટી અને રિપ્રોડક્ટિવ મેડિસિન ક્ષેત્રે આપણે વિશ્વસ્તરીય ટેકનોલોજી સાથે આગળ વધી રહ્યા છીએ.
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં પોલીસ ચોકી પાસે ટ્રાફિક ચેકિંગ દરમિયાન એક એડવોકેટ, તેમની પત્ની અને પુત્રી સામે પોલીસની ફરજમાં રૂકાવટ અને ગેરવર્તન બદલ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટના રાજુલા એસટી બસસ્ટેન્ડ સામે જાહેર રોડ પર બની હતી.રાજુલા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ એસ.બી. જાની અને સ્ટાફ દ્વારા વાહન ચેકિંગની કામગીરી ચાલી રહી હતી. તે સમયે આરોપી અરવિંદ ખુમાણ પોતાનું બાઇક (રજિસ્ટ્રેશન નંબર GJ23BF 2648) લઈને પસાર થતાં તેમને રોકવામાં આવ્યા હતા. પીએસઆઈએ બાઇકના કાગળો અને ડ્રાઇવિંગ લાયસન્સ માંગતા, આરોપી પાસે તે ઉપલબ્ધ ન હોવાનું જણાવ્યું હતું.કાગળો ન હોવાથી પીએસઆઈએ વાહનને એમ.વી. એક્ટ 207 મુજબ ડિટેઇન કરવાની કાર્યવાહી કરવાની વાત કરી. આ સાંભળીને આરોપી ગુસ્સે ભરાયા હતા. તેમણે પીએસઆઈને ધમકી આપી કે તેમના પતિ એડવોકેટ છે અને જો વાહન ડિટેઇન કરાશે તો પોલીસ મુશ્કેલીમાં મુકાશે. આરોપી અને તેમના પરિવારજનોએ પીએસઆઈ તથા સ્ટાફને બિભત્સ શબ્દોમાં ગાળો આપી ગેરવર્તન કર્યું હતું. આરોપીએ પોતાનો ફોન જમીન પર પછાડીને ધમકી આપી હતી કે તેઓ અને તેમની દીકરી ખોટી રીતે હોસ્પિટલમાં દાખલ થઈને પોલીસ દ્વારા માર માર્યાની ફરિયાદ કરશે. પોલીસ સ્ટાફ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરવા છતાં, આરોપીઓએ ઉશ્કેરાઈને ગાળાગાળી ચાલુ રાખી અને પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ ઊભી કરી. આ મામલે રાજુલા પોલીસ સ્ટેશનમાં આરોપી હર્ષાબેન અરવિંદભાઈ ખુમાણ, ક્રિષ્નાબેન અરવિંદભાઈ ખુમાણ અને એડવોકેટ અરવિંદભાઈ ખુમાણ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.આ ગુનાની તપાસ ઇન્ચાર્જ પી.આઈ. આર.એન. રાઠોડ ચલાવી રહ્યા છે.
સુરતના પાલ સ્થિત સુમન મુદ્રા આવાસમાં રહેતા એક યુવકે પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટી આગ ચાંપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ગંભીર રીતે દાઝેલા યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. યુવકે જ્વલનશીલ પદાર્થ છાંટી આગ ચાંપી હતીમળતી વિગતો અનુસાર, પાલ વિસ્તારમાં આવેલા સુમન મુદ્રા આવાસમાં આજે અચાનક એક યુવકે આગની ચાદર ઓઢી લીધી હોય તેમ પોતાના જ શરીરે આગચંપી કરી હતી. યુવકને સળગતો જોઈ આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 3 ગાડી સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં યુવક ગંભીર રીતે દાઝી ગયો હતો. યુવકને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયાઘટના બાદ યુવકની હાલત નાજુક જણાતા તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, યુવકનું શરીર મોટાભાગે દાઝી ગયું હોવાથી તેની હાલત અતિ ગંભીર છે. હાલમાં તબીબોની ટીમ દ્વારા તેને બચાવવા માટે તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી છે. પત્નીના ત્રાસથી કંટાળી યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો: પીઆઇપાલ પોલીસ સ્ટેશનના પીઆઈ શીતલ શાહે જણાવ્યું હતું કે, રિક્ષાચાલક યુવકને અને તેની પત્નીને વારંવાર ઝઘડા થતા તેની પત્ની દ્વારા વારંવાર પૈસાની માંગણી કરતી હોવાથી યુવકે કંટાળીને પોતાના પર પેટ્રોલ છાંટી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
દાહોદ તાલુકાના બોરવાણી સેજાના ખોડવા ગામે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના હસ્તે આ કેન્દ્રનું ઉદ્ઘાટન થયું હતું. આ નવી આંગણવાડી શરૂ થવાથી સ્થાનિક બાળકોને ઘરઆંગણે જ શિક્ષણ અને પોષણની સુવિધાઓ મળશે. આંગણવાડી કેન્દ્રના લોકાર્પણ સાથે જ બાળકોને પાયાનું શિક્ષણ, આરોગ્ય તપાસ અને પોષણક્ષમ આહાર આપવાની સેવાઓ શરૂ થઈ ગઈ છે. આ પ્રસંગે ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ જણાવ્યું હતું કે, આ કેન્દ્ર બાળકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને બાળપણમાં જરૂરી તમામ આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડશે, જે તેમના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થશે. આ લોકાર્પણ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ, ગ્રામ પંચાયતના સરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી તંત્ર તરફથી સી.ડી.પી.ઓ. રીતાબેન, મુખ્યસેવિકા નિલમબેન, પાપા પગલી ઇન્સ્ટ્રક્ટર, આંગણવાડી કાર્યકર અને તેડાઘર બહેનો પણ હાજર રહ્યા હતા.
અમદાવાદ ભાજપનો આંતરિક વિવાદ સપાટી પર આવ્યો રાષ્ટ્રીય અધ્યક્ષની ગુજરાત મુલાકાત દરમિયાન જ અમદાવાદ ભાજપમાં ભડકો. લઘુમતી મોર્ચાના પ્રમુખ સામે પૂર્વ મહામંત્રી અહેમદ પટેલની નારાજગી. સો. મીડિયામાં પોસ્ટ કરીને કહ્યું- 'જેને ગુજરાતી વાંચતા-લખતા નથી આવડતું તેને લઘુમતી મોર્ચાના પ્રમુખ બનાવ્યા' આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મન કી બાત કાર્યક્રમમાં કુમાર કાનાણી ઊંઘતા દેખાયા જનતા માટે હંમેશા જાગતા વરાછાના ધારાસભ્ય મન કી બાત કાર્યક્રમમાં ઉંઘતા નજરે પડ્યા. કાર્યક્રમ સાંભળતી વખતે કાનાણીને ઝોકાં આવવા લાગ્યા. પહેલી જ હરોળમાં સીએમથી ત્રીજી સીટ પર બેઠેલા કાનાણીની ઝપકી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો તંત્ર પહેલા જ લોકોએ ઘરો પર હથોડા માર્યા રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સોમવારે 1489 ઘરોનું ડિમોલીશન થાય તે પહેલા સ્થાનિકોએ જાતે જ પોતાના ઘરોને હથોડા મારવાનું શરુ કર્યું.. સ્થાનિક રેપર ચાંદમિયાએ એક રેપ સોંગ બનાવી રોષ વ્યક્ત કર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વિવાદીત યુટ્યુબરની રાજસ્થાનથી ધરપકડ સાત દિવસમાં ત્રણ પોલીસ ફરિયાદ બાદ આખરે વિવાદીત કીર્તિ પટેલની ધરપકડ કરાઈ. પોલીસે રાજસ્થાનથી કીર્તિને ઝડપી પાડી છે...કીર્તીના ત્રાસથી અન્ય એક યુટ્યુબરે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભારત - સાઉથ આફ્રિકા વચ્ચેની મેચને લઈને ઉત્સાહ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ટી 20 વર્લ્ડકપના સુપર 8 માં ભારત સાઉથ આફ્રિકા સામસામે ટકરાશે. આંકડાઓમાં ભારતનું પલડું ભારે છે કારણ કે ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી 60% મેચો જીતી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બેફામ આવતા ડમ્પરે આધેડને કચડ્યા વડોદરાના તરસાલીમાં બેફામ સ્પીડે આવતા ડમ્પરે આધેડને અડફેટમાં લેતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું.એક્ટિવા ચાલક ડમ્પરના આગળના વ્હીલ નીચે આવી ગયા હતા. તો ફસાયેલા એક્ટિવાન મહામુસીબતે બહાર કાઢ્યું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દંડો લઈ દુકાનમાં ઘૂસી તોડફોડ કરી અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો આતંક.યુવકે ડેકોરેશનની દુકાનમાં ઘૂસીને દંડા વડે તોડફોડ કરી.. દુકાનના કર્મચારીને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી છે..પોલીસે તપાસ હાથ ધરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટોઈલેટ કરાવી 21 લાખનું દાણચોરીનું સોનું કઢાવ્યું અમદાવાદ એરપોર્ટ પર અબુધાબીથી આવેલા એક શખ્સના શરીરમાંથી 135 ગ્રામ સોનાની કેપ્સ્યુલ મળી.. કસ્ટમ ઓફિસરે સિવિલ લઈ જઈ, ટોઈલેટ કરાવી 21 લાખનું સોનું કઢાવ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કન્ટેનરના પતરાં કાપી ચોરખાનામાં દારુ સંતાડ્યો હતો દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઈવે પર વડોદરા પાસે કન્ટેનરના ચોરખાનામાંથી ઝડપાઈ 16,620 દારુની બોટલ્સ. ગ્રાઈન્ડર મશીનથી કન્ટેનરનું પતરું કાપી દારુની બોટલ જપ્ત કરી આ હેરાફેરીના રેકેટ સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બીજા માળેથી નીચે પટકાતા યુવકનું મોત વડોદરાના અગોરા સીટી નામની ખાનગી સાઈટ પર એક યુવક બીજા માળેથી નીચે પટકાયો. એક વ્યકિત યુવકનો હાથ પકડી તેને બચાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ, ત્રણેક મિનિટ સુધી હાથ પકડી રાખ્યા બાદ છૂટી જતા યુવક નીચે પટકાયો હતો અને તેનું મોત નિપજ્યું હતું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
પારપડા મુકામે 180 ધાન્યધાર પ્રજાપતિ સમાજનો 25મો સમૂહલગ્ન ઉત્સવ રજત જયંતિ મહોત્સવ તરીકે ભવ્યતાપૂર્વક યોજાયો હતો. આ પ્રસંગે સમાજના 43 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સમાજમાં લગ્ન પ્રસંગે થતા મોટા ખર્ચને પહોંચી વળવા માટે સમાજના દીકરા-દીકરીઓએ સમૂહ લગ્નની પહેલ કરી હતી. આ પહેલને આજે 25 વર્ષ પૂર્ણ થયા છે, જેના ઉપલક્ષ્યમાં આયોજિત સમિતિ દ્વારા આ 25મા સમૂહ લગ્નને રજત જયંતિ મહોત્સવ તરીકે ઉજવવામાં આવ્યો. સમાજના દાતાઓ (ભામાશા) દ્વારા દરેક દીકરીને તિજોરી, ફ્રિજ, પલંગ, સોનાની બુટ્ટી સહિત ઘરવપરાશની કુલ 35 જેટલી ભેટો આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. સમૂહ લગ્નને સફળ બનાવવા માટે સમાજના દાતાઓએ રોકડ દાન આપી સહયોગ પૂરો પાડ્યો હતો. સમૂહ લગ્નમાં જોડાયેલા તમામ દીકરીઓને તુલસીના છોડ આપી સન્માનિત કરવામાં આવી હતી. સમાજના કન્વીનરો દ્વારા સમૂહ લગ્નની સુંદર અને સુવ્યવસ્થિત ગોઠવણ કરવામાં આવી હતી. આ સમૂહ લગ્નમાં રાજસ્થાન સરકારના કેબિનેટ મંત્રી જોરારામ કુમાવત (પ્રજાપતિ), ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ રશિકભાઈ પ્રજાપતિ, થરાદ-વાવ જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિ, પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશ અનાવડિયા, સમૂહ લગ્ન સમિતિ પ્રમુખ ભરતભાઈ ઘચેલિયા, 180 પ્રજાપતિ સમાજ પ્રમુખ ભીખાભાઈ પ્રજાપતિ, ન્યાય સમિતિ પ્રમુખ મોહનભાઈ પ્રજાપતિ, ધારાસભ્ય અનિકેત ઠાકર, શ્રેયાંશભાઈ પ્રજાપતિ સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા.
તાલાલા નજીક બંધ ડમ્પરમાં બાઈક ઘૂસ્યું:જાવંત્રી ગામના યુવકને ગંભીર ઇજા, વેરાવળ રિફર કરાયા
તાલાલા-કોડીનાર સ્ટેટ હાઈવે પર તાલાલા તાલુકાના ભીમદેવળ ગામ પાસે એક અકસ્માત સર્જાયો હતો. રોડ પર બંધ ઊભેલા ડમ્પર પાછળ બાઈક સવાર ઘૂસી જતાં આ ઘટના બની હતી. અકસ્માતમાં બાઈક સવાર યુવક સાહિલ સલીમ મજગૂલ (ઉંમર 30, રહે. જાવંત્રી, તા. તાલાલા)ને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક તાલાલા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તાલાલા હોસ્પિટલના ફરજ પરના તબીબોએ પ્રાથમિક સારવાર આપી હતી. જોકે, માથાના ભાગે ગંભીર ઈજા જણાતા, યુવકને વધુ સારવાર માટે વેરાવળ રિફર કરવામાં આવ્યા છે. અકસ્માત સ્થળે બંધ ઊભેલું ડમ્પર તાલાલાથી પ્રાંચી તરફ જઈ રહ્યું હતું. બાઈક સવારે કઈ રીતે કાબૂ ગુમાવ્યો અને અકસ્માત સર્જાયો તે અંગે તાલાલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના નિવૃત્ત શિક્ષિકાને ભેજાબાજ ગઠિયાએ CBI અને ટેલિકોમ વિભાગના અધિકારી હોવાનું કહી મની લોન્ડરિંગના ખોટા કેસમાં ફસાવવાની ધાકધમકી આપી હતી. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ અને ક્રાઈમ બ્રાન્ચ મુંબઇના નકલી ધરપકડ વોરંટ બતાવીને 28 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા 99 લાખ પડાવી લીધા હતા. આ મામલે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નિવૃત્ત શિક્ષિકાને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યોગાંધીનગરના સેક્ટર 8માં રહેતા 65 વર્ષીય નિવૃત્ત શિક્ષિકાના પતિ અને પુત્ર હાલ સિંગાપુર રહે છે. જ્યારે તેમનો નાનો દીકરો અહીં પ્રાઈવેટ કંપની નોકરી કરે છે. નિવૃત્ત શિક્ષિકાને ગત 16 જાન્યુઆરીના રોજ એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે જણાવ્યું હતું કે, તમારા નામે બીજું સિમકાર્ડ લેવામાં આવ્યું છે, જેના દ્વારા લોકોને ધમકીઓ અપાઈ રહી છે. ભેજાબાજોએ મહિલાને ડરાવ્યા અને ધમકાવ્યાત્યાર બાદ કોન્ફરન્સ કોલમાં અજય ગુપ્તા નામના વ્યક્તિએ પોતાની ઓળખ CBI ઓફિસર તરીકે આપી હતી. તેણે નિવૃત્ત શિક્ષિકાને ડરાવ્યા હતા કે, તેમનું બેંક એકાઉન્ટ નરેશ ગોહેલ નામના મની લોન્ડરિંગના આરોપી સાથે જોડાયેલું છે. આ સાંભળીને નિવૃત્ત શિક્ષિકા ગભરાઈ ગયા હતા. એટલે ભેજાબાજોએ તેમને વિશ્વાસમાં લેવા માટે વોટ્સએપ પર સુપ્રીમ કોર્ટનો નકલી ઓર્ડર, ધરપકડ વોરંટ અને ઇન્ટરોગેશન રેકોર્ડના બનાવટી દસ્તાવેજો મોકલ્યા હતા. ગઠિયાઓએ અલગ અલગ ખાતામાં 99 લાખ ટ્રાન્સફર કરાવ્યાબાદમાં બે-બે કલાકે સેફ હોવાનો મેસેજ કરવા મજબૂર કરી એક પ્રકારે ડિજિટલ અરેસ્ટ કર્યા હતા. આ દરમિયાન ખાતાની તપાસ કરવાના બહાને ગઠિયાઓએ નિવૃત્ત શિક્ષિકાને તેમના નાણાં અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. જેથી નિવૃત્ત શિક્ષિકાએ તા. 5 ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરી 2026 દરમિયાન પોતાના SBI અને પોસ્ટ ઓફિસના ખાતામાંથી કુલ 99 લાખ RTGS દ્વારા ટ્રાન્સફર કર્યા હતા. ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદઆખરે વેરિફિકેશન બાદ પણ નાણાં પરત ન આવતા નિવૃત્ત શિક્ષિકાને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. આ અંગે તેમણે સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર જાણ કરી હતી. ત્યાર બાદ ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
વડોદરા શહેરમાં રોડ પર પડેલા ખાડા અને અતિભારે ટ્રાફિક જામના કારણે એક અનોખી ઘટના સામે આવી છે, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. શહેરના આજવા રોડ પર આયોજીત એક લગ્નપ્રસંગમાં પહોંચવા માટે ટ્રાફિકના કારણએ દુલ્હન અને તેના પરિવારજનો જ મુશ્કેલીમાં મૂકાયા હતા. લગ્ન મંડપમાં જાન આવવાનો સમય થઈ ગયો હોય દુલ્હને કારમાંથી ઉતરી એક્ટિવાચાલકની મદદથી લગ્નમંડપમાં પહોંચી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. દુલ્હને કહ્યું હતું કે, મારા લગ્ન તો મુહૂર્ત નીકળી ગયા બાદ પણ થઈ શક્યા હોત. પરંતુ, જો આ ટ્રાફિકમાં કોઈ એમ્બ્યુલન્સ ફસાઈ હોત તો કોઈ વ્યકિતને જીવ પણ જઈ શકે. ટ્રાફિક્માં ફસાતા કારમાંથી ઉતરી એક્ટિવા પર સવાર થઈ લગ્નમંડપમાં પહોંચીવડોદરાના આજવા રોડ વિસ્તારમાં એક દુલ્હન લગ્નસ્થળે પહોંચવા માટે રસ્તામાં અટવાઈ ગઈ હતી.દુલ્હનની કાર 15 મિનિટના અંતરવાળા રસ્તા પર પહોંચવામાં 45 મિનિટથી વધુ સમય લાગી ગયો હતો. ખાડાઓ અને ટ્રાફિકના કારણે વાહન ખૂબ ધીમું ચાલતું હતું. આ દરમિયાન મુહૂર્તનો સમય નજીક આવી રહ્યો હતો, જેથી દુલ્હને લગ્નનું ફોટો શૂટ પણ છોડવું પડ્યું હતું. જાન તો પાર્ટી પ્લોટ પહોંચી ગઈ હતી, પરંતુ દુલ્હન હજુ રસ્તામાં જ ફસાયેલી હતી. આ સમયે દુલ્હને મુહૂર્ત સાચવવા માટે એક અજાણ્યા વ્યક્તિની એક્ટિવા સ્કૂટર પર લિફ્ટ માંગવી પડી હતી. દુલ્હન એક્ટિવા પાછળ બેસીને લગ્નસ્થળે પહોંચી હતી. ટ્રાફિકના કારણે ફોટો શૂટ તો થઈ જ ન શક્યું- સ્તુતિ શેઠનવવધૂ સ્તુતિ શેઠે જણાવ્યું હતું કે, હું પાર્લરથી તૈયાર થઈને ઘરે આવી હતી. ઘરેથી નીકળી ત્યારે મોડું થઈ ગયું હતું અને જાન પણ આવવાની તૈયારીમાં જ હતી. મારી પાસે થોડો સમય હતો એટલે મારે ફોટોશૂટ કરાવવાનું હતું, પણ રસ્તામાં એટલો બધો ટ્રાફિક હતો કે ફોટોશૂટ તો થઈ જ ન શક્યું. રસ્તો વન-વે હતો કારણ કે એક બાજુ ખોદકામ ચાલતું હતું. ત્યાં ત્રણ બસો ફસાઈ ગઈ હતી અને કોઈ ગાડી નીકળી શકે તેમ નહોતી. મારી ગાડી પણ ત્યાં જ અટકી ગઈ હતી. દુલ્હન, માતા અને ભાઈને અન્ય વાહનચાલકોએ લિફ્ટ આપીતેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મારે કોઈ અજાણ્યા વ્યક્તિઓને બોલાવીને એમની એક્ટિવા પર જવું પડ્યું. એક એક્ટિવા પર હું હતી, બીજા પર મમ્મી અને ત્રીજા પર મારો ભાઈ હતો. આ રીતે અમે માંડ-માંડ પાર્ટી પ્લોટ પહોંચ્યા હતા. પરિસ્થિતિ ખૂબ જ તણાવભરી હતી. જાન આવી ગઈ હતી અને જો પરિવારના સભ્યો જ વિધિમાં ન હોય તો એ સારું ન લાગે, જાણે અપમાન જેવું લાગે. વળી અમારે મુહૂર્ત પણ સાચવવાનું હતું. 'શહેરમાં ખાડા ખોદો તો સમયસર પુરવાનું રાખો'તેઓએ કહ્યું કે, હું એટલું જ કહીશ કે જો તમે ખાડા ખોદો છો, તો તેને સમયસર પૂરવાનું પણ રાખો. અત્યારે તો મારા લગ્ન હતા, પણ જો કોઈ ઈમરજન્સીમાં એમ્બ્યુલન્સ હોત તો પરિસ્થિતિ ખૂબ ગંભીર બની શકી હોત. મારા લગ્ન તો કદાચ મુહૂર્ત વગર પણ થઈ જાત, પણ જો કોઈના જીવન-મરણનો સવાલ હોત તો શું થાત? તમારા ઘરથી લગ્ન સ્થળનું અંતર કેટલું સામાન્ય રીતે મારા ઘરેથી ત્યાં પહોંચતા 15થી 20 મિનિટ લાગે છે, પણ કાલે મને 1 કલાકથી પણ વધુ સમય લાગ્યો. 45 મિનિટ તો હું ટ્રાફિકમાં જ હતી અને પછી 15-20 મિનિટ બાઈક પર લાગી હતી. મુહૂર્ત સાચવવાના ચક્કરમાં મારું પર્સનલ ફોટોશૂટ તો રહી જ ગયું હતું. વડોદરા શહેરમાં નાગરિકો દરરોજ આવા ટ્રાફિક જામમાં ફસાઈને હેરાન થઈ રહ્યા છે. આ ઘટના બાદ લોકોમાં રોડની સ્થિતિ અને વિકાસ કામોના સમન્વય અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. તંત્ર પાસે આવા પ્રકારની અસુવિધાઓ ટાળવા માટે વધુ સારું આયોજન અને ઝડપી કામ પૂર્ણ કરવાની માંગ ઉઠી રહી છે.
આણંદ LCB એ 53.99 લાખનો દારૂ ઝડપ્યો:ઉમરેઠ-આણંદ હાઈવે પર એર કુલરના બોક્સમાં છુપાવ્યો હતો જથ્થો
આણંદ જિલ્લામાં દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસના સઘન પેટ્રોલિંગ દરમિયાન, લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા મળી છે. ઉમરેઠ-આણંદ હાઈવે પરથી એક કન્ટેનરમાં એર કુલરના બોક્સની આડમાં સંતાડીને લઈ જવાતો રૂ. 53.99 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. LCB ના એ.એસ.આઈ. મહિપાલસિંહ જગદિશસિંહને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ઉમરેઠ-આણંદ રોડ પર જાખલા ગામની સીમમાં આવેલ મેવાત હોટલ પાસે વોચ ગોઠવી હતી. હરિયાણા પાસિંગનું અશોક લેલન કન્ટેનર (નંબર: HR38AC7904) અટકાવી તપાસ કરતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આરોપીઓએ પોલીસની નજરથી બચવા માટે એક યુક્તિ અપનાવી હતી. તેમણે કન્ટેનરના આગળના ભાગે એર કુલરના પૂંઠાના બોક્સ રાખ્યા હતા અને તેની પાછળના ભાગમાં વિદેશી દારૂની પેટીઓ છુપાવી હતી. પોલીસે કુલ રૂ. 53,99,178/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 185 પેટીઓ (કુલ 6600 બોટલો) વિદેશી દારૂ, જેની કિંમત રૂ. 25,92,000/- છે, તેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રૂ. 17,00,000/- ની કિંમતનું કન્ટેનર, રૂ. 10,92,178/- નો એર કુલરનો જથ્થો અને એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે તારીફ સ/ઓ લલ્લુ નન્હેશિયા મેઉ (રહે. હરિયાણા) નામના આરોપીને ઝડપી પાડ્યો છે. જ્યારે સાબિર (રહે. હરિયાણા) નામનો અન્ય એક આરોપી વોન્ટેડ જાહેર કરાયો છે. આ અંગે ભાલેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. LCB પી.આઈ. એચ.આર. બ્રહ્મભટ્ટ અને તેમની ટીમે આ સફળ કામગીરી પાર પાડી હતી.
સુરતની નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આજે એક શંકાસ્પદ ઘટના સામે આવી છે. હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર પાસે કોઈ અજાણ્યા શખસો એક વ્યક્તિનો મૃતદેહ બિનવારસી હાલતમાં મૂકીને ભાગી જતા હોસ્પિટલ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાની વિગત અને સિક્યોરિટી ગાર્ડની સતર્કતામળતી માહિતી મુજબ, આજે નવી સિવિલ હોસ્પિટલના ગેટ પાસે કોઈ અજાણ્યા શખસો એક મૃતદેહને ગેટ પાસે ઉતારી રહ્યા હતા. શરૂઆતમાં એવું લાગ્યું કે કદાચ કોઈ દર્દીને સારવાર માટે લાવવામાં આવ્યા છે, પરંતુ ગણતરીની મિનિટોમાં જ આ શખસો મૃતદેહને ત્યાં જ પડતો મૂકીને ઉભી પૂંછડીએ ભાગવા માંડ્યો હતો. હોસ્પિટલના ગેટ પરના સિક્યોરિટી ગાર્ડની નજર આ શંકાસ્પદ ઘટના પર પડી હતી. ગાર્ડ કંઈ સમજે તે પહેલા જ અજાણ્યા શખસો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ગાર્ડે તુરંત નજીક જઈને જોતા તે વ્યક્તિનો મૃતદેહ હોવાનું જણાયું હતું. આ ગંભીર બાબતની જાણ તાત્કાલિક સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્ર અને સિવિલ પોલીસ ચોકીને કરવામાં આવી હતી. ખટોદરા પોલીસની ઘટનાસ્થળે પહોંચી તપાસસિવિલ હોસ્પિટલ પોલીસ ચોકી દ્વારા તાત્કાલિક અસરથી ખટોદરા પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ખટોદરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી મૃતદેહનો કબજો લીધો હતો. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. CCTV ફૂટેજના આધારે શોધખોળખટોદરા પોલીસે આ મામલે સઘન તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા હોસ્પિટલના મુખ્ય ગેટ તેમજ આસપાસના રસ્તાઓ પર લાગેલા સીસીટીવી ફૂટેજ મેળવી આગળની કાર્યવાહી કરી રહી છે.
સારોલી પોલીસ સ્ટેશનના સ્ટાફને મળેલી બાતમીના આધારે એક શખસને દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપી પાસેથી હથિયાર અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 20,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હથિયાર સાથે આવતા શખસની પોલીસને બાતમી મળીમળતી માહિતી મુજબ 21 ફેબ્રુઆરી 2025ના રોજ સારોલી પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.આર. વેકરીયાના માર્ગદર્શન હેઠળ સબ ઇન્સ્પેક્ટર એસ.આર. રાણા તથા સ્ટાફ કર્મીઓ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન બાતમી મળી હતી કે, કડોદરા તરફથી એક શંકાસ્પદ શખસ હથિયાર સાથે સુરત શહેર આવી રહ્યો છે. પોલીસે પિસ્તોલ સહિત રૂ.20 હજારનો મુદ્દામાલ કબજે કર્યોબાતમીના આધારે પોલીસે નાકાબંધી ગોઠવી અને શંકાસ્પદ વ્યક્તિને અટકાવી તેની તપાસ કરી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. પોલીસે પિસ્તોલ સાથે એક મોબાઈલ ફોન પણ કબજે કર્યો હતો. જપ્ત કરાયેલી પિસ્તોલની કિંમત રૂપિયા 10,000 અને મોબાઈલ ફોનનની કિંમત રૂપિયા 10,000 ગણવામાં આવી છે. મહારાષ્ટ્રના શખસને પોલીસે ઝડપી પાડ્યોપકડાયેલા આરોપીનું નામ વૈભવ સંજય છગલે (ઉ.વ.29 રહે. મૂળ મહારાષ્ટ્ર) હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી સામે શસ્ત્ર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉપરાંત પિસ્તોલ સપ્લાય કરનાર વ્યક્તિ અને અન્ય સંડોવાયેલા શખસો અંગે પણ તપાસ ચાલી રહી છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે, આ પિસ્તોલ તેણે સુરતના અંકિત માર્કંડેય ઉપાધ્યાય માટે મગાવી હતી, જે તેને બિહારના મંગેરના સૌરભ યદુવંશી નામના શખસે આપી હતી. પિસ્તોલ મગાવનાર અંકિત ઉપાધ્યાયને ઝડપી પાડ્યોસારોલી પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ઇ-ગુજકોપ સોફ્ટવેરની મદદથી અંકિત ઉપાધ્યાયની શોધખોળ આદરી હતી. અંકિતને ભેસ્તાન આવાસ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસમાં ખુલ્યું છે કે, અંકિત ઉપાધ્યાય વિરૂદ્ધ અગાઉ ઉમરા, ડિંડોલી અને ઉધના પોલીસ સ્ટેશનમાં મારામારી અને જાહેરનામા ભગના અનેક ગુનાઓ નોંધાયેલા છે.
રાજ્ય સરકારે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિક્ષણમાં શિષ્યવૃત્તિની આવક મર્યાદામાં વધારો કર્યો છે. આ નિર્ણયને બોટાદ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાએ આવકાર્યો છે.સરકાર દ્વારા શિષ્યવૃત્તિની આવક મર્યાદા રૂપિયા ૨.૫ લાખથી વધારીને રૂપિયા ૬ લાખ કરવામાં આવી છે. બોટાદ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ દેવજીભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, આ નિર્ણયથી અનેક વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મદદ મળશે.તેમણે આ નિર્ણય બદલ રાજ્યના મંત્રીઓ ડૉ. પ્રધુમનભાઈ વાજા, ડૉ. મનીષાબેન વકીલ અને દર્શનાબેન વાઘેલાનો આભાર વ્યક્ત કર્યો હતો.
વલસાડ શહેરના ખડકીભાગડા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે રવિવારે મોડી રાત્રે જૂની અદાવતને કારણે એક યુવક પર ક્રિકેટ સ્ટમ્પ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં યુવક હિરેન પટેલને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તેને ત્રણ ટાંકા લેવા પડ્યા હતા. વલસાડ સિટી પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભોગ બનનાર હિરેન પટેલે જણાવ્યું હતું કે, તે તેના મિત્ર સાથે એક લગ્ન પ્રસંગમાં ગયો હતો. ત્યાં તેના મિત્ર અને વિશાલ નામના શખ્સ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી અગાઉ કોઈ છોકરી બાબતે થયેલી તકરારના મનદુઃખને કારણે થઈ હતી. જ્યારે હિરેને આ બાબતે પૂછપરછ કરી, ત્યારે આરોપીઓ તેની સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. ઝઘડો ઉગ્ર બનતા વિશાલ રાઠોડ અને તેના સાથીઓએ ગ્રાઉન્ડ પર પડેલા ક્રિકેટ સ્ટમ્પ ઉઠાવી હિરેન પર હુમલો કર્યો હતો. હિરેનના કહેવા મુજબ, આરોપીઓએ તેને સીધો મારવાનું શરૂ કર્યું અને માથામાં સ્ટમ્પના બે-ત્રણ ફટકા માર્યા, જેના કારણે તેનું માથું ફાટી ગયું અને તેને ચક્કર આવવા લાગ્યા. હુમલો કર્યા બાદ આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે વલસાડ સિટી પોલીસે વિશાલ રાઠોડ (રહે. તરીયાવાડ), ડીલર અને હિમેશ નામના ત્રણ શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હેન્ડબોલની ઇન્ટરનેશનલ ખેલાડી અને ખેડૂત પુત્રી દયા ઝાપડીયાનું ઓલિમ્પિકમાં ભારત દેશ માટે મેડલ મેળવવાનું સ્વપ્ન છે. ગુજરાતમાં પ્રથમ વખત આજે 22 ફેબ્રુઆરીથી યુનિવર્સિટીના સ્પોર્ટ્સ સંકુલ ખાતે વેસ્ટ ઝોન બહેનોની હેન્ડબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો. આજે પ્રથમ દિવસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમની કેપ્ટન દયા કે જે 13 વખત નેશનલ ટુર્નામેન્ટ રમી ચૂકી છે અને 2 વખત ઈન્ટરનેશનલ કક્ષાએ પહોંચી છે. જેમાંથી એક વખત સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલો છે. વેસ્ટ ઝોનના ગુજરાત ઉપરાંત ગોવા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનની 61 યુનિવર્સિટીની ટીમનો અહીં જમાવડો થયો છે ત્યારે તેમને ટક્કર આપી ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીમાં સિલેક્શન માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ જુસ્સા સાથે સજ્જ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હેન્ડબોલ ટીમની કેપ્ટન અને ઇન્ટરનેશનલ ખેલાડી દયા ઝાપડીયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વેસ્ટ ઝોનની હેન્ડબોલ બહેનોની ટુર્નામેન્ટ 22 થી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાઇ રહી છે જેનો આજે પ્રારંભ થયો છે. જેના માટે અમે દસ દિવસનો કેમ્પ કર્યો હતો. જેમાં સવાર -સાંજ તનતોડ પ્રેક્ટિસ કરી. અમારી ટીમ ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી સુધી પહોંચે તે માટેની તૈયારી કરી છે. જેમાં સ્પીડ વર્ક સહિતની સ્કીલ પર ખાસ ધ્યાન આપ્યુ છે. તેમણે જણાવ્યુ હતુ કે, હું છેલ્લા 9 વર્ષથી હેન્ડબોલની ગેમ રમું છું. મેં 13 નેશનલ અને 2 ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ રમી છે. છેલ્લે પંજાબના અમૃતસરમાં યોજાયેલી સિનિયર નેશનલ ટ્રોફી માટેની ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. વર્ષ 2036 માં ગુજરાતને વિશ્વની સૌથી મોટી ઓલિમ્પિક ગેમની યજમાની કરવાનું છે ત્યારે તેમાં ખૂબ જ સારું પરફોર્મન્સ આપી ઇન્ટરનેશનલ કક્ષાએ મેડલ મેળવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને પરિવારનું નામ રોશન કરવાનું સ્વપ્ન છે. તેમણે જણાવ્યું કે, હું મૂળ વિંછીયાની છું અને મારા પિતાનું નામ કાનજીભાઈ છે અને માતાનું નામ ભાવુબેન જે ખેતીવાડી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જે.જે.કુંડલિયા કોલેજમાં ટી.વાય.બી.એ.માં અભ્યાસ કરું છું. જ્યારે કોચ રાહુલ વેગડે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હેન્ડ બોલ ટીમનો કોચ છું. ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ક્રિકેટ મેદાનમાં વેસ્ટ ઝોન હેન્ડબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગોવા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતનો સમાવેશ થાય છે. આ 5 રાજ્યોની 61 યુનિવર્સિટીની ટીમ ભાગ લઈ રહી છે. તાજેતરમાં 10 દિવસનો કેમ્પ યોજાયો હતો. જેમાં સ્પીડ વર્કઆઉટ અને સ્ટ્રેન્થ સહિતની પ્રેક્ટિસ કરાવેલી છે. જેથી આ ટીમ સ્પીડી મૂવમેન્ટ કરી વેસ્ટ ઝોનના તમામ મેચ જીતી ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ટુર્નામેન્ટમા સિલેક્ટ થાય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમમાં એક ઇન્ટરનેશનલ અને બાકીની તમામ ખેલાડી નેશનલ પ્લેયર છે.
વડોદરા શહેર નજીક આવેલ સુંદરપુરા અને બામણગામ પાસેથી બે મહાકાય અજગરને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. સંસ્થા સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના પ્રમુખ પર બે અલગ અલગ સ્થળો પરથી કૉલ આવ્યો હતો. જેથી વન વિભાગની મદદથી બંને મગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યા છે. વડોદરા અને આસપાસના વિસ્તારમાં સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ દ્વારા બે અલગ-અલગ સ્થળોએ અજગરના સફળ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. સંસ્થાના પ્રમુખ સંદીપ સિંઘને બે અલગ-અલગ કોલ પરથી માહિતી મળી હતી. પ્રથમ કોલ સુંદરપુરાથી પ્રશાંતભાઈનો આવ્યો હતો, જેમાં તેમણે જણાવ્યું કે તેમના ફાર્મમાં એક અજગર દેખાયો છે. તેની લંબાઈ આશરે 5 ફૂટ હતી. તુરંત જ સંસ્થાના વોલન્ટિયર્સ હરિકિશન, પ્રિન્સ, દીપક, જયદીપ અને દક્ષેશ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સુરક્ષિત રીતે અજગરનું રેસ્ક્યૂ કરીને વન વિભાગને સોંપ્યો હતો. ત્યારબાદ બીજો કોલ અજીતસિંહ પઢિયારનો આવ્યો હતો, જેમણે મોર્ડન પેટ્રોફાઇલ્સ, બામણગામ ખાતે પાણીની ટાંકીમાં અજગર જોવા મળ્યાની જાણ કરી હતી. સંસ્થાના વોલન્ટિયર્સ સંદીપભાઈ, હરિકિશન, પ્રિન્સ, દીપક, જયદીપ અને દક્ષેશ ત્યાં પહોંચ્યા હતા અને તપાસ કરતાં જાણવા મળ્યું કે ત્યાં 11 ફૂટ લાંબો અજગર હતો. વન વિભાગના અધિકારી શૈલેશભાઈને જાણ કરીને સહી-સલામત રેસ્ક્યૂ કરવામાં આવ્યું અને તેને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. સેવ વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટના પ્રમુખ સંદીપસિંહે જણાવ્યું હતું કે, આજે અમારા 'સેવ વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ'ના હેલ્પલાઈન નંબર પર બે અલગ-અલગ સ્થળોએથી કોલ આવ્યા હતા. પહેલો કોલ સુંદરપુરાથી પ્રશાંતભાઈનો આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેમના ફાર્મ પર એક અજગર દેખાયો છે. અમારી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને તપાસ કરી તો ત્યાં અંદાજે 4.5 થી 5 ફૂટ લાંબો અજગર જોવા મળ્યો હતો. અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી અને શૈલેષભાઈની મદદથી આ અજગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપ્યો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સુંદરપુરાથી નીકળ્યા બાદ તુરંત જ અમને બીજો કોલ બામણગામ પાસેના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી મળ્યો. ત્યાં એક જૂની પાણીની ટાંકીમાં એક મહાકાય અજગર ઘણા સમયથી ફસાયેલો હતો. જ્યારે અમારી ટીમે સ્થળ પર જઈને જોયું તો તે અંદાજે 11થી 12 ફૂટ લાંબો વિશાળ અજગર હતો. અમારી ટીમ જીવના જોખમે ટાંકીની અંદર ઉતરી અને તેને સહી-સલામત રીતે બહાર કાઢી વન વિભાગને સોંપ્યો છે. તેઓએ કહ્યું કે, વડોદરામાં અમારી સંસ્થા જેવી ઘણી સંસ્થાઓ વન્યજીવોના રક્ષણ માટે કાર્યરત છે. જો આપના ઘરની આસપાસ કે ખેતરમાં કોઈ પણ વન્યજીવ દેખાય, તો ગભરાયા વગર અમારો સંપર્ક કરી શકો છો. લોકો અમારા હેલ્પલાઈન નંબર 99799 55931 પર ગમે ત્યારે સંપર્ક કરી શકે છે. વન્યજીવોને ઈજા ન પહોંચાડો અને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં અમને મદદ કરો.
ICC T-20 વર્લ્ડ કપના સુપર-8 તબક્કાની ત્રીજી મેચમાં આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રોમાંચક મુકાબલો રમાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યે શરૂ થનારી આ મેચ માટે સવારથી જ સ્ટેડિયમ આસપાસના વિસ્તારોમાં ભારતીય ઝંડા લહેરાતા જોવા મળી રહ્યા છે અને હજારો ચાહકો સ્ટેડિયમમાં પ્રવેશ માટે લાઈનમાં ઊભા છે. ભારતીય જર્સી, રંગબેરંગી ઝંડા સાથે ચાહકો સ્ટેડિયમ તરફ આવ્યાસ્ટેડિયમમાં ભારતીય ચાહકોની ભીડ ઉમટી પડી છે. ફેન્સ ભારતીય જર્સી, રંગબેરંગી ઝંડા અને સાથે સ્ટેડિયમ તરફ આવ્યા. સી.જી.રોડ પર અમુક કેફેઝમાં મેચના લાઈવ ટેલિકાસ્ટ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ મેચનું વિશેષ આકર્ષણ રહેશે કોમેન્ટ્રી બોક્સમાં સુનીલ ગાવસ્કર, રવિ શાસ્ત્રી અને દિનેશ કાર્તિકની હાજરી. આ ત્રણેય દિગ્ગજો અમદાવાદ પહોંચી ગયા છે અને તેમની કોમેન્ટ્રીમાં મેચને વધુ રોમાંચક બનાવશે. ચાહકોમાં આ ત્રણેયની હાજરીને કારણે વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોલીસ અને સ્ટેડિયમ ઓથોરિટીએ ભીડને કંટ્રોલ કરવા માટે ભારે બંદોબસ્ત ગોઠવ્યો છે. ટ્રાફિક ડાયવર્ઝન અને પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ફેન્સ સાઉથ આફ્રિકા સામે ભારતની જીતના સાક્ષી બનવા ઘરેથી સ્ટેડિયમ તરફ જવા માટે નીકળી ગયા છે.
વડોદરા ગ્રામ્ય LCBની ટીમે છેલ્લા એક અઠવાડિયામાં અલગ અલગ જગ્યાએથી 3 કરોડની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દરમિયાન ગઈકાલે દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઈવે પર વડોદરા પાસે એક કન્ટેનરમાં બનાવેલા ચોરખાનામાંથી 94 લાખની વિદેશી દારૂની 16,620 બોટલો જપ્ત કરી છે. એક કન્ટેનર, 3 મોબાઈલ ફોન સહિત કુલ 1.09 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ચોક્કસ બાતમીના આદારે LCB ટીમે વોચ ગોઠવીવડોદરા ગ્રામ્ય LCBની ટીમને વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, RJ-05-GB-2930 નંબરનું કન્ટેનર ભરૂચથી વડોદરા તરફ આવી રહ્યું છે, જેમાં વિદેશી દારૂ ભરેલો છે. જેથી LCBની ટીમે લક્ષ્મીપુરા ગામ પાસે પાદરા જવાના કટ નજીક હાઇવે પર કન્ટેનર માટે વોચ ગોઠવી હતી. કન્ટેનર આવતાં જ તેને કોર્ડન કરી લીધું હતું. દરવાજો ખોલતા જ કન્ટેનરમાં કંઈ ન મળ્યુંદારૂની હેરાફેરી માટે બુટલેગરો અવનવા કિમિયા અપનાવી રહ્યા છે. પોલીસે જ્યારે કન્ટેનરને ઉભું રાખ્યું અને દરવાજો ખોલ્યો તો દારૂ દેખાયો નહોતો. પરંતુ પોલીસે ચોક્કસ બાતમીને કારણે વધુ તપાસ કરતા બુટલેગરે દારૂ છુપાવવા માટે કન્ટેનરમાં આગળના ભાગમાં ચોરખાનું બનાવ્યું હતું. પોલીસે ગ્રાઈન્ડર મશીન દ્વારા કન્ટેનરનું પતરું કાપતા ચોખાનામાંથી 94 લાખનો દારૂ જપ્ત કર્યો હતો. જેને જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કન્ટેનરમાંથી 710 પેટીઓમાં વિદેશી દારૂની 16,620 બોટલ મળીકન્ટેનરમાંથી ડ્રાઇવર ગોકલારામ પદમારામ જાટ, (રહે. માનસીંગ કી બેરી ખારી, તા. ધોરીમન્ના, જિ. બારમેર (રાજસ્થાન) મળી આવ્યો હતો. પોલીસે કન્ટેનરના ખાનામાંથી 710 પેટીઓમાં વિદેશી દારૂની 16,620 બોટલો મળી આવી હતી. આ ઉપરાંત 3 મોબાઇલ ફોન, રજિસ્ટ્રેશન કાગળો વગેરે પણ જપ્ત કર્યા છે. રાજસ્થાનના શખસે પંજાબથી ગુજરાતમાં દારૂ મગાવ્યો હતોડ્રાઇવરની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, સોહનલાલ બેધરામ બિશ્નોઈ (રહે. નરવતો કા ગોલીયા ખારી, તા. ધોરીમન્ના, જિ. બારમેર, રાજસ્થાન) દ્વારા પંજાબથી ગુજરાતમાં દારૂના ફેરા માટે આ કામગીરી સોંપવામાં આવી હતી. રાજપુરા (લુધિયાણા રોડ) ખાતે કન્ટેનર ભરાયું હતું અને અમદાવાદ તરફ લઈ જવાનું હતું. આ મામલે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
મોરબીમાં વ્યાજખોરી, દારૂ અને જમીન પચાવી પાડવા સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલા બી.કે. બોરીચાનું આજે સનાળા રોડ પર ડીવાયએસપીની હાજરીમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. બે દિવસ પહેલા મોરબીના જેલ રોડ પર આવેલા બોરીચાવાસ વિસ્તારમાં બી.કે. બોરીચાના ઘરે પોલીસે તપાસ કરી હતી. આ દરમિયાન ઘરમાંથી બિયરના 22ટીન મળી આવ્યા હતા, જેના પગલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. હાલમાં બી.કે. બોરીચાને રિમાન્ડ પર લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બોરીચાના ઘરમાંથી કેટલાક દસ્તાવેજો પણ મળી આવ્યા છે, જે અંગે ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે. રવિવારે બપોરે આશરે દોઢ વાગ્યાના સુમારે મોરબીના સનાળા રોડ પર બી.કે. બોરીચાનું સરઘસ કાઢવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે મોરબીના ડીવાયએસપી જે.એમ. આલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, બી.કે. બોરીચા સામે અગાઉ વ્યાજખોરી, દારૂ અને જમીન પચાવી પાડવા જેવા ગુનાઓ નોંધાયેલા છે. આ ગુનાઓમાં તેની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ ચાલી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેના ઘરમાંથી મળેલા દસ્તાવેજોના આધારે પણ તપાસ ચાલુ છે અને જે લોકો બી.કે. બોરીચાનો ભોગ બન્યા હોય, તેઓએ ફરિયાદ નોંધાવવી જોઈએ. મોરબી પોલીસ ભોગ બનેલા લોકોની સાથે જ છે તેવી ખાતરી પણ ડીવાયએસપી દ્વારા આપવામાં આવી હતી.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોળી સમાજ વિવિધ પુણ્ય કાર્યોમાં હંમેશા આગળ હોય છે - અરવિંદ કેજરીવાલ આજે ભાવનગરના જવાહર મેદાન ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબની આપ સરકારના મુખ્યમંત્રી ભગવંત માન વીર માંધાતા કોળી સમાજ દ્વારા આયોજિત સામૂહિક લગ્ન પ્રસંગે હાજર રહ્યા હતા, આ પ્રસંગે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલએ જણાવ્યું હતું કે, આજે ખૂબ જ શુભ દિવસ છે જ્યારે 151 યુગલો એક સાથે લગ્ન કરી રહ્યા છે, અને ચારે બાજુ આનંદનું વાતાવરણ છે હું આમ આદમી પાર્ટીના નેશનલ જૉઇન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી અને પ્રદેશ યુવા અધ્યક્ષ બ્રિજરાજ સોલંકી બંનેને અભિનંદન પાઠવું છું, જે આવું પુણ્ય કાર્ય કરી રહ્યા છે. સાથે સાથે વીર માંધાતા સંગઠનને પણ અભિનંદન પાઠવું છું રાજુભાઈએ છેલ્લા 12 વર્ષમાં 2000થી વધુ જોડીઓના લગ્ન કરાવીને આ પુણ્ય કાર્ય કર્યું છે હું તમામ નવદંપતિઓને પણ અભિનંદન પાઠવું છું, જે પોતાના જીવનમાં નવી દિશામાં આગળ વધી રહ્યા છે હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે તેઓ તમને ખૂબ ખુશીઓ આપે અને તમે સૌ ખૂબ પ્રગતિ કરો. અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું કે, આજનો આ કાર્યક્રમ વીર માંધાતા કોળી સમાજ દ્વારા આયોજિત છે આજે દિલ્હીથી અખિલ ભારતીય કોળી સમાજના મહિલા અધ્યક્ષા અહીં હાજર છે ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોળી સમાજ વિવિધ પુણ્ય કાર્યોમાં હંમેશા આગળ રહે છે. ગુજરાતના વિકાસમાં કોળી સમાજનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે કોળી સમાજના બાળકો ખૂબ પ્રતિભાશાળી, મહેનતુ અને દેશભક્ત છે, તેથી જો કોળી સમાજના બાળકોને યોગ્ય શિક્ષણ, યોગ્ય સ્કિલ અને સારા અવસર મળે તો તેઓ વધુ પ્રગતિ કરી શકે. જેમ અહીં જણાવાયું કે, લોકપ્રિય ક્રિકેટ ખેલાડી પણ કોળી સમાજમાંથી આવે છે અને સમગ્ર દેશનું નામ વિશ્વમાં રોશન કરી રહ્યા છે આજે અહીં ઉપસ્થિત તમામ લોકોને હું અભિનંદન પાઠવું છું અને અહીં આશીર્વાદ આપવા આવેલા તમામ સાધુ-સંતોને પણ અભિનંદન પાઠવું છું. આવનારા સમયમાં ગુજરાતમાં આવા વધુ સામાજિક, ધાર્મિક અને રાજકીય કાર્યક્રમો યોજાશે તેમાં હું હાજરી આપતો રહીશ. આ પ્રસંગે પંજાબની આમ આદમી પાર્ટી સરકારના મુખ્યમંત્રી ભગવંત માન જણાવ્યું કે, વીર માંધાતા કોળી સમાજ સંગઠન દ્વારા આજે 12મો સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો છે આજે તેમાં 151 જોડીઓના લગ્ન થયા છે અને અમે તેમને આશીર્વાદ આપવા માટે હાજર રહ્યા છીએ. આ અવસરે હું વીર માંધાતા કોળી સમાજ તેમજ રાજુભાઈ સોલંકી અને બ્રિજરાજ સોલંકીને અભિનંદન પાઠવું છું, જેમણે આ પુણ્ય કાર્ય કર્યું અને આ પ્રસંગે અમને પણ યાદ કર્યા, લોકોની ભલાઈ થાય તેવા સામાજિક કાર્યક્રમો થવા જોઈએ. આવનારા સમયમાં ગુજરાતમાં એવો કોઈપણ કાર્યક્રમ હશે જેમાં સમાજ અને લોકોની ભલાઈ થાય, તે રાજકીય હોય, સામાજિક હોય કે ધાર્મિક હોય, એવા કાર્યક્રમોમાં અમે ચોક્કસ હાજરી આપીશું, વીર માંધાતા સંગઠનના અધ્યક્ષ અને આમ આદમી પાર્ટીના નેશનલ જૉઇન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી અને યુવા અધ્યક્ષ બ્રિજરાજ સોલંકી તેમજ સમગ્ર વીર માંધાતા સંગઠને આ સામૂહિક લગ્ન કાર્યક્રમનું આયોજન કર્યું હતું, આ પ્રસંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા અને ધારાસભ્ય સુધીર વાઘાણી સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર, ધોલેરા ખાતે બિરાજમાન શ્રી મદનમોહનજી મહારાજની સ્થાપનાના 200 વર્ષ પૂર્ણ થયા છે. આ દ્વિશતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે વડતાલ ગાદી શ્રી લક્ષ્મીનારાયણદેવ પિઠાધિશ્વર આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજની આજ્ઞાથી વૈશ્વિક સ્તરે માનવસેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ દ્વિશતાબ્દી વર્ષ નિમિત્તે દેશ-વિદેશમાં વસતા હરિભક્તો દ્વારા વિવિધ ધાર્મિક ઉત્સવો અને સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે, 22 ફેબ્રુઆરી, 2026, રવિવારના રોજ ‘આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પ’નું આયોજન કરાયું. આ કેમ્પ ભારત સહિત વિશ્વના સાત દેશોમાં એક જ દિવસે, એક જ સમયગાળા દરમિયાન વિવિધ ગામો અને શહેરોમાં યોજાયો હતો. વેરાવળ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર વેરાવળના લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળના પ્રમુખ હાર્દિકભાઈ કકકડે જણાવ્યું કે, આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ તેમજ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજના આશીર્વાદથી સમગ્ર ભારત સહિત સાત દેશોમાં કુલ 108 સ્થળોએ આ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પ ખાસ કરીને કેન્સર અને થેલેસેમિયા પીડિત દર્દીઓ માટે ઉપયોગી થશે. રક્તદાન દ્વારા અનેક દર્દીઓને જીવનરક્ષક રક્ત મળી રહેશે. ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ, તાલાળા, સાસણ, કોડીનાર, ઉના અને માંગરોળ ખાતે કેમ્પો યોજાયા હતા. દરેક સ્થળે હરિભક્તો અને યુવાનોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ જોવા મળ્યો. હાલ સુધીમાં ગીર સોમનાથ જિલ્લામાં અંદાજે 300 યુનિટથી વધુ રક્ત એકત્ર થયું હોવાનો અંદાજ છે, અને રક્તદાનનો પ્રવાહ ચાલુ રહ્યો છે. અનેક યુવાનો સ્વપ્રેરિત રીતે આગળ આવી રક્તદાન કરીને 'સેવા પરમો ધર્મ:'ના સિદ્ધાંતને સાર્થક કરી રહ્યા છે. લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ અને લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ દ્વારા તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. દ્વિશતાબ્દી વર્ષના આ અવસરે ધાર્મિક ભાવના સાથે માનવસેવાનું આ સંકલન સમાજ માટે પ્રેરણાદાયી બન્યું છે.
શહેરના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે.યુવકે દુકાનમાં ઘૂસીને દંડા વડે તોડફોડ કરી જાનથી મારી નાખવાની પણ ધમકી આપી છે.આ અંગે રામોલ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.આરોપીએ છેલ્લા 10 વર્ષમાં અનેક વખત તોડફોડ કરી હોવાનો આક્ષેપ છે. 'તારા શેઠ ક્યાં છે' કહી દુકાનમાં તોડફોડ શરૂ કરીવસ્ત્રાલમાં રહેતા નાથા તાવડીયા નામના યુવકે ફરિયાદ નોંધાવી છે કે, તે વસ્ત્રાલમાં અર્બુદા ડેકોરેશનની દુકાનમાં નોકરી કરે છે અને ત્યાં જ રહે છે. તે દુકાનમાં હાજર હતા ત્યારે એક વ્યક્તિ ગાડી લઈને આવ્યો હતો.આ વ્યક્તિએ ગાડીમાંથી નીચે ઉતરી હાથમાં લાકડાનો ડંડો સાથે લઈને દુકાનમાં આવીને કહ્યું હતું કે તારા શેઠ ક્યાં છે તેમ કહીને ગાળો આપવા લાગ્યો હતો. નાથાએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સે દુકાનમાં તોડફોડ શરૂ કરી હતી. આરોપીએ ભૂતકાળમાં પણ તોડફોડ કરી હોવાનો આક્ષેપદુકાનમાં કાચ તોડી નાખ્યા હતા એટલું જ નહીં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.દુકાનમાં તોડફોડની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.નાથાએ આ અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.આરોપીએ અગાઉ પણ 3 થી 4 વખત તોડફોડ અને મારામારી કરી હોવાનું સામે આવ્યું છે.
આગામી સમયમાં યોજાનારી બોર્ડની પરીક્ષાઓમાં પ્રશ્નપત્રોની ગોપનીયતા જાળવવા અને પેપર લીક જેવી ઘટનાઓને જડમૂળથી ડામી દેવા માટે સુરત વહીવટી તંત્ર દ્વારા અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જિલ્લામાં કુલ 14 ઝોન નક્કી કરવામાં આવ્યા છે, જે 561 સ્કૂલોમાં પરીક્ષા કેન્દ્રો માટે પ્રશ્નપત્રોના વિતરણનું મુખ્ય કેન્દ્ર બનશે. આ તમામ કેન્દ્રો પર ટેકનોલોજી અને ચુસ્ત પોલીસ બંદોબસ્તનો એવો સમન્વય કરવામાં આવ્યો છે કે પ્રશ્નપત્રની એક હિલચાલ પર પણ બાજ નજર રાખી શકાય. સ્ટ્રોંગ રૂમમાં 24/7 સશસ્ત્ર સુરક્ષા અને પોલીસનો લોખંડી પહેરોપેપર લીક અટકાવવા માટે પ્રશ્નપત્રોના સંગ્રહસ્થાન એટલે કે 'સ્ટ્રોંગ રૂમ' ને અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યા છે. તમામ 14 ઝોનમાં તૈયાર કરાયેલા આ સ્ટોરેજ સેન્ટર્સ પર જ્યારે પ્રશ્નપત્રો આવશે, ત્યારે ત્યાં 24 કલાક અને સાતેય દિવસ (24/7) પોલીસ સુરક્ષા તૈનાત રહેશે. વિશેષ રૂપે, હથિયારધારી પોલીસ જવાનોને આ સ્ટ્રોંગ રૂમની બહાર રખેવાળી માટે તૈનાત કરવામાં આવ્યા છે, જેથી પ્રશ્નપત્રોની ગુપ્તતા સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ ન થઈ શકે. QR કોડ ટેકનોલોજી: ડ્રાઈવર અને પ્રતિનિધિઓની પળેપળની ટ્રેકિંગઆ વખતની સુરક્ષા વ્યવસ્થામાં સૌથી મહત્વનું પાસું 'QR કોડ' ટેકનોલોજીનો ઉપયોગ છે. પરીક્ષામાં રોકાયેલા ડ્રાઈવરો અને સરકારી પ્રતિનિધિઓની ફરજોમાં ફેરફાર થવાની શક્યતાને ધ્યાને રાખીને તંત્રએ એક ડિજિટલ ફાઈલ તૈયાર કરી છે. આ ફાઈલમાં QR કોડ અને અન્ય જરૂરી સુરક્ષા વિગતો આપવામાં આવી છે. આ ટેકનોલોજીની મદદથી સરકારી પ્રતિનિધિઓ અને પ્રશ્નપત્રો લઈ જતા વાહનો ઝોનથી લઈને છેક નિયત કરાયેલી સ્કૂલ સુધી સરળતાથી અને સુરક્ષિત રીતે પહોંચી શકશે. સરકારી પ્રતિનિધિઓને વિશેષ તાલીમ અને સ્ટાફની સજ્જતાપરીક્ષાની કામગીરી સુચારૂ રીતે ચાલે તે માટે તમામ સ્ટાફની નિમણૂક પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. પેપર લીકની ઘટનાઓ રોકવા માટે માત્ર ટેકનોલોજી જ નહીં, પણ માનવબળને પણ સજ્જ કરવામાં આવ્યું છે. આ હેતુસર સરકારી પ્રતિનિધિઓને વિશેષ તાલીમ આપવામાં આવી છે, જેથી તેઓ કોઈપણ કટોકટીની સ્થિતિમાં પ્રોટોકોલ મુજબ કામ કરી શકે. ડ્રાઈવર બદલાય તો પણ QR કોડ સિસ્ટમ દ્વારા તેની ઓળખ અને રૂટની ચોકસાઈ જળવાઈ રહેશે. ટેકનોલોજીના માધ્યમથી પેપર લીકની શક્યતા ‘શૂન્ય’ કરવાનો દાવોભગીરથ સિંહ પરમારે જણાવ્યું હતું કે, 561 સ્કૂલોમાં, 14 ઝોનમાં પરીક્ષા કેન્દ્રો માટેના ઝોન નક્કી કરવામાં આવ્યા છે. ત્યાંથી વિદ્યાર્થીઓ માટે પ્રશ્નપત્રોનું વિતરણ કરવામાં આવશે. તમામ સ્ટાફ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તમામ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે, જેથી જ્યારે પ્રશ્નપત્રો આવશે ત્યારે 24/7 પોલીસ સુરક્ષા અને હથિયારધારી પોલીસ જવાનો તૈનાત કરવામાં આવશે, જેથી પ્રશ્નપત્રોની ગોપનીયતા જળવાઈ રહે. આ ઉપરાંત સરકારી પ્રતિનિધિઓને પણ તાલીમ આપવામાં આવી છે. સરકારી પ્રતિનિધિઓ માટે એક ફાઈલ તૈયાર કરવામાં આવી છે. કારણ કે ડ્રાઈવરો અને પ્રતિનિધિઓ બદલાઈ શકે છે, તેથી ફાઈલમાં QR કોડ અને અન્ય જરૂરી વિગતો આપવામાં આવી છે, જેથી તેઓ સરળતાથી ઝોનથી સ્કૂલ સુધી પહોંચી શકે. આ તમામ તૈયારીઓ ટેકનોલોજીની મદદથી કરવામાં આવી છે.
મહેસાણા જિલ્લામાં ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરાવવા માટે જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ એક પ્રેરણાદાયી અને કડક અભિગમ અપનાવ્યો છે. નિયમ પાલનની શરૂઆત પોતાના ઘરથી એ સૂત્રને સાર્થક કરતા આજે મહેસાણા પોલીસ હેડક્વાર્ટરમાં જ પોલીસકર્મીઓની ખાનગી ગાડીઓ સામે સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ તપાસને પગલે પોલીસ બેડામાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસ કર્મીઓની ખાનગી ગાડીઓનું સઘન ચેકિંગ હાથ ધરાયું હતુંશહેરમાં સામાન્ય જનતા પાસે ટ્રાફિક નિયમોનું પાલન કરાવતા પહેલા પોલીસ પોતે આદર્શ બને એવા હેતુથી એસ.પી. હિમાંશુ સોલંકીએ કડક આદેશો આપ્યા હતા. જેના પગલે હેડક્વાર્ટરમાં ઉભી રહેલી તેમજ અવરજવર કરતી પોલીસ કર્મીઓની ખાનગી ગાડીઓનું સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.આ કાર્યવાહી દરમિયાન જે ગાડીઓના કાચ પર પ્રતિબંધિત કાળી ફિલ્મ લગાવેલી હતી. તેને પોલીસની હાજરીમાં જ સ્થળ પર ઉતારી દેવામાં આવી હતી.આ ઉપરાંત નંબર પ્લેટ વગરની અથવા એચ.એસ.આર.પી. વગરની ફેન્સી નંબર પ્લેટ ધરાવતી ગાડીઓ સામે પણ આકરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઝુંબેશમાં અંદાજે 30 જેટલી ગાડીઓ ઝપેટમાં આવી હતીપોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ ઝુંબેશમાં અંદાજે 30 જેટલી ગાડીઓ ઝપેટમાં આવી હતી. જે તમામ સામે દંડની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ આકરી કાર્યવાહીથી એ સંદેશ સ્પષ્ટ થયો છે કે, કાયદો તોડનાર ભલે ગમે તેટલો વગદાર હોય કે ખુદ પોલીસ વિભાગનો હોય તેને છોડવામાં આવશે નહીં.. કાળા કાચ અને નંબર પ્લેટ વગર ફરતા વાહનો સામે પોલીસની કડક કાર્યવાહીમહેસાણા શહેરમાં કાળા કાચ અને નંબર પ્લેટ વગર ફરતા વાહનો સામે અત્યારે પોલીસ સખત વલણ અપનાવી રહી છે ત્યારે ખુદ પોલીસ હેડક્વાર્ટરથી થયેલી આ નિષ્પક્ષ કામગીરીની શહેરભરમાં ભારે પ્રશંસા થઈ રહી છે. પોલીસના આ કડક વલણને કારણે હવે સામાન્ય નાગરિકોમાં પણ ટ્રાફિક શિસ્ત બાબતે સકારાત્મક જાગૃતિ જોવા મળશે એવું મનાઈ રહ્યું છે.
શહેરના વાસણા વિસ્તારમાં રહેતી પરિણીતાને જેઠના દીકરા દ્વારા ઈન્સ્ટાગ્રામ આઈડી પર મેસેજ કરવામાં આવ્યો હતો અને વીડિયો મોકલવામાં આવ્યો હતો. પરિણીતાને દીયરે યુવકને ફોન કરીને સમજાવ્યું હતું કે, આવા વીડિયો ન મૂકો, સમાજમાં બદનામી થાય છે. છતાં પણ તેણે કહ્યું હતું કે, હું વીડિયો મુકીશ, જેથી આ મામલે પરિણીતાએ જેઠના દીકરા વિરુદ્ધ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વીડિયો ન મુકવાનું કહેતા બિભત્સ શબ્દો કહ્યાંવાસણા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય પરિણીતાના જેઠના દીકરાને ફોન કરીને તેમના પરિવારની એક મહિલા જતી રહી હતી, તે બાબતે સમજાવવા માટે ફોન કર્યો હતો, પરંતુ સરખો જવાબ આપ્યો નહોતો. બાદમાં ઈન્સ્ટાગ્રામ આઈડી પર બંનેના વીડિયો મોકલવામાં આવ્યા હતા, જે બીજી રિક્વેસ્ટ પણ મોકલી હતી. જે વીડિયો તેના દીયરને બતાવ્યો હતો અને તેમણે ફોન કરી જણાવ્યું હતું કે, જે વીડિયો મૂકવામાં આવ્યો છે, તેમાં સમાજની બદનામી થાય છે. આવા વીડિયો ન મૂકો. જેથી સામેવાળી વ્યક્તિએ કહ્યું હતું કે, વીડિયો તો મુકીશ અને પરિણીતાએ ફોન ઉપર વાત કરતા ગાળો બોલી હતી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરીવધુમાં તેણે કહ્યું હતું કે, જેમ મહિલાને લઈ ગયો છું, તેમ તને પણ લઈ જઈશ. પરિણીતાએ જ્યારે તેના જેઠને ફોન કરીને તમારો દીકરો આ રીતે મારી સાથે વાત કરે છે, એવું કહ્યું હતું. જેથી જેઠે પણ ફોન કાપી નાખ્યો હતો. આ મામલે પરિણીતાએ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પાટણ જિલ્લાના બાલીસણા પોલીસ સ્ટેશન હેઠળ આવતા ડેર ગામની સીમમાં ખેતરમાં કામ કરી રહેલા શ્રમિક પરિવારની સગીર દીકરીનું અપહરણ થયું છે. આ મામલે સગીરાના પિતાએ બાલીસણા પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, 14 વર્ષ અને 11 માસની સગીર વયની દીકરી ખેતરના શેઢે હતી, ત્યારે કોઈ અજાણ્યો શખ્સ તેને લગ્નની લાલચ આપી અથવા ફોસલાવીને વાલીપણામાંથી ભગાડી ગયો હતો. ઘટના સમયે પરિવાર ખેતરમાં મજૂરી કામ કરી રહ્યો હતો. દીકરી ન મળી આવતા પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કોઈ ભાળ ન મળતા આખરે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 173 મુજબ પ્રથમ માહિતી અહેવાલ (FIR) નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવ સંદર્ભે પોલીસે બી.એન.એસની કલમ 137(2) મુજબ ગુનો દાખલ કરી અજાણ્યા આરોપીને ઝડપી પાડવા અને સગીરાની શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર ભારતીબેન ફૂલજીભાઈ ચૌધરી ચલાવી રહ્યા છે.
સુરત શહેરમાં છેતરપિંડીના બનાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે લસકાણા પોલીસ સ્ટેશનની હદમાં એક ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીઓએ બિલ્ડર અને માટીના વેપારી હોવાનો ખોટો ડોળ કરી એક વ્યક્તિ સાથે 2 લાખની છેતરપિંડી આચરી છે. કેવી રીતે કરી છેતરપિંડી?મળતી માહિતી મુજબ ફરિયાદી મુકેશભાઈ આપુજી વણઝારા ઉં.વ. 48, જેઓ સુરતના સિંગણપોર વિસ્તારમાં રહે છે અને કાર્ટિંગનો વ્યવસાય કરે છે. તેમને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ એક બિલ્ડર તરીકે આપી હતી અને જણાવ્યું હતું કે, તેમને સાઈટ પર માટીની જરૂર છે. આ ઠગબાજોએ મુકેશભાઈને વિશ્વાસમાં લઈ, ભાડા ગામ પાસે આવેલી શ્યામ યમુના એબ્રો પાર્ક સોસાયટીમાં માટી નાખવાનું કામ સોંપ્યું હતું. આરોપીઓએ મુકેશભાઈ પાસે કુલ 56 ગાડી માટી સાઈટ પર નખાવી દીધી હતી. આરોપી ડબલ ગેમ રમ્યોઆરોપીઓએ માત્ર મુકેશભાઈને જ નહીં, પરંતુ સાઈટના અસલી માલિક અશોકભાઈ જીરાણીને પણ અંધારામાં રાખ્યા હતા. આરોપીએ અશોકભાઈને ફોન કરીને પોતે માટીવાળો હોવાની ઓળખ આપી હતી. જ્યારે માટી નાખવાનું કામ પૂરું થયું ત્યારે કુલ માટીની કિંમત 2,66,400 જેટલી થતી હતી. જોકે, આરોપીએ માલિક અશોકભાઈ પાસે પોતાના માણસને મોકલી 2,00,000 બારોબાર પડાવી લીધા હતા. ત્યારબાદ મુકેશભાઈને ખબર પડી કે તેમની મહેનતના પૈસા કોઈ ત્રીજી જ વ્યક્તિ લઈ ગઈ છે. મુકેશ ભાઈને છેતરપિંડી થઈ હોવનો અહેસાસ થતા લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે BNSની વિવિધ કલમો દાખલ કરી કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ હાલમાં જે મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો તેની ડિટેલ્સ અને લોકેશનના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
જામનગરમાં PGVCL-પોલીસનું મેગા ઓપરેશન: 8 વીજચોર ઝડપાયા:₹7.76 લાખનો દંડ, વીજ જોડાણો સ્થળ પર કપાયા
જામનગરમાં કાયદો-વ્યવસ્થા જાળવવા અને અસામાજિક તત્વો પર લગામ કસવા માટે પોલીસ અને PGVCL દ્વારા સંયુક્ત 'કોમ્બિંગ ઓપરેશન' હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન 8 વીજચોરીના કેસો પકડી પાડી કુલ ₹7,76,603/- નો દંડ ફટકારવામાં આવ્યો છે. જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની (IPS)ની સૂચના અને DYSP જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સીટી એ-ડિવિઝન, LCB, SOG અને પેરોલ સ્કોડના કાફલાએ PGVCL ના એન્જિનિયરો સાથે મળીને આ કાર્યવાહી કરી હતી. પટણીવાડ, સુમરાચાલી, ટીટોડીવાડી અને ખોજાનાકા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ડાયરેક્ટ લંગર અને મીટરમાં ચેડાં કરીને વીજચોરી કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. રેહાન ઇકબાલ બેલીમ (પટણીવાડ) ને ₹2,06,313.67, જુનેદ અબ્દુલરજાકભાઇ પટણી (પટણીવાડ) ને ₹2,49,440.25, શહેનાઝ ફારૂકહુશેન શેખ (પટણીવાડ) ને ₹1,03,168.02, નુરમામદ હાસમભાઇ ખફી (કિશાન ચોક) ને ₹1,00,000.00, અખતર હસનભાઇ કોઠારી (પટણીવાડ) ને ₹90,123.43, અબ્દુલગની ઉમરભાઇ બસર (મચ્છીપીઠ) ને ₹20,000.00, હુસેન ઓસમાણ મુરીમા (ટીટોડીવાડી) ને ₹5,034.63 અને હનીફભાઇ ઉમરભાઇ પંજા (પટણીવાડ) ને ₹2,523.50 નો દંડ ફટકારવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, કુલ 4 કેસ ડાયરેક્ટ લંગર દ્વારા અને 4 કેસ મીટર હોવા છતાં પાવર ચોરીના નોંધાયા છે. તમામ વીજચોરોના જોડાણો સ્થળ પર જ કાપી નાખવામાં આવ્યા હતા. આ કોમ્બિંગ ઓપરેશનનો મુખ્ય હેતુ માત્ર વીજચોરી પકડવાનો જ નહોતો, પરંતુ ગત 21/02/2026 ના રોજ પાંચહાટડી સૈફી હોસ્પિટલ પાસે થયેલી મારામારીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવાનો પણ હતો. પોલીસ દ્વારા રેહાન ઇકબાલ બેલીમ, સદામ ઉર્ફે ઇંડો શેખ અને રઉફ બેલીમ સહિતના અન્ય આરોપીઓની શોધખોળ તેજ કરવામાં આવી છે. આ સમગ્ર ઓપરેશનમાં સીટી એ-ડિવિઝન PI એન.એ.ચાવડા, LCB PI વી.એમ.લગારીયા, SOG PI બી.એન.ચૌધરી તથા PGVCL ના ડેપ્યુટી એન્જીનીયર એસ.આર.પરમાર અને તેમની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ગુજરાતની ત્રણ દિવસ મુલાકાતે છે. આજે 22 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય અધ્યક્ષ અમદાવાદના હેરિટેજ વિસ્તાર એવા ખાડિયાની દેસાઈની પોળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન દ્વારા શહેરના હેરિટેજ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. ખાડિયા વિસ્તારમાં પ્રખ્યાત એવા ચમત્કારી હનુમાનજીના મંદિરે દર્શન પણ કર્યા હતા. જુના જમાનામાં બનાવવામાં આવેલા મકાનો જોયા હતા અને સ્થાનિક લોકોને પણ મળ્યા હતા. રાયપુરના પ્રખ્યાત ભજીયા, શ્રીરામના ખમણ અને ચંદ્રવિલાસના ફાફડા સહિતનો નાસ્તો પણ કાર્યકર્તાઓ સાથે કર્યો હતો. બાજુની ખુરશીમાં બુથ અને વોર્ડના પ્રમુખને બેસાડ્યાંવડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન દ્વારા ઉચ્ચપ્રમુખ અને વડપ્રમુખને બાજુમાં બેસાડ્યા હતા. રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા નિયમ કરાવ્યો છે કે, હું જ્યાં રાજ્ય અને જિલ્લા અને વોર્ડમાં જઈશ ત્યાં મારી બાજુની ખુરશીમાં બુથ અને વોર્ડનો પ્રમુખ જ બેસી શકશે. એ નિયમ પ્રમાણે અમદાવાદમાં ખાડિયામાં દેસાઈની પોળના બુથ પ્રમુખ રાકેશ ભાવસાર અને વોર્ડ પ્રમુખ જયેશ રામીને બાજુમાં બેસાડ્યા હતા. ‘રવિન્દ્રનાથ ટાગોર સાથે ગાંધીજી અહીંયા આવીને ગરબા જોતા હતા’રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને જણાવ્યું હતું કે, ત્રણ દિવસથી હું ગુજરાતમાં છું. ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠો અને હેરીટેજ સિટીની મુલાકાત લીધી છે. મારું સૌભાગ્ય છે કે, 131માં એપિસોડમાં હું સહભાગી થયો છે. રવિન્દ્રનાથ ટાગોર સાથે ગાંધીજી અહીંયા આવીને ગરબા જોતા હતા. ઘણી ઐતિહાસિક બાબતો અહીંયા જોડાયેલી છે હવે આગળ પણ હું અન્ય સ્થળોએ પણ હેરિટેજ સ્થળો પર જ જઈને સાંભળીશ. ત્રણ દિવસથી ગુજરાતી સાંભળી રહ્યો છું, ભાષા ભાવથી સમજાય છે. ‘બુથ મજબૂત કરવું હોય તો ટિફિન બેઠક કરવી પડશે’ટિફિન બેઠક કરવાની પરંપરા કરવી જરૂરી છે, જેમાં કાર્યકર્તાઓ સાથે સંવાદ થાય છે. PMનો આગ્રહ રહે છે કે મન કી બાત સાથે લોકો સાથે મળી નાસ્તો કરવો જોઈએ. બુથ મજબૂત કરવું હોય તો ટિફિન બેઠક કરવી પડશે. ટિફિન લઈને આવીશું અને મળીશું વાત કરીશું. ટિફિન બેઠક પાર્ટીને મજબૂત બનાવશે. હજુ લાંબી સફર તય કરવાની છે. આવનારી પેઢીને વટવૃક્ષ આપવાનો છે. મહેનત કરવાની છે. પ્રદેશ અધ્યક્ષ અને એમની ટીમનો વિશેષ આભાર વ્યક્ત કરું છુ. ફકત સંગઠન નહીં પણ તમામ આયામો સાથે રૂબરૂ થયો છું. 2047નું વિઝન છે, એને લઈને આગળ વધવાનું છે અને સંઘર્ષ કરવાનો છે. અખા ભગત ચોક ખાતે પ્રતિમાને પુષ્પાંજલિ કરીભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજીના ગુજરાત પ્રવાસનો ત્રીજા અને છેલ્લા દિવસે નીતિન નબીનજીએ ખાડિયામા દેસાઈની પોળ ખાતે અચ્યુતભાઈની ચેતના હવેલી ખાતે મન કી બાતનો 131મો એપિસોડ સાંભળ્યો હતો. અખા ભગત ચોક ખાતે અખા ભગતની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, શહેર પ્રમુખ પ્રેરક શાહ, સાંસદ દિનેશ મકવાણા, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ, ધારાસભ્યો અને કોર્પોરેટરો સહિત કાર્યકરો જોડાયા હતા.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 23 ફેબ્રુઆરીએ જંગલેશ્વર વિસ્તારમાં 1489 મકાનનું ડિમોલિશન કરવામાં આવશે. આ માટે તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ કરી લેવામાં આવી છે. આખા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જંગલેશ્વરમાં પોતાનું મકાન ગુમાવનાર રેપર ચાંદમિયાએ એક રેપ સોંગ બનાવી પોતાનો રોષ વ્યકત કર્યો છે. જેના શબ્દો છે કે, આ કેવો દોર છે, નેતા ચોર છે, ગરીબના ઘર માથે જ કેમ નીકળે રોડ છે. દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં ચાંદમિયાએ કહ્યું કે, રમઝાનમાં ઘરે ઘરે માતમ છે, મારૂ સોંગ સાંભળીને કોઈ નેતા ઘર ન આપો તો કાંઈ નહીં સમય આપે તેવી મારી વિનંતી છે. આ ડિમોલિશનને લઈ દિવ્યભાસ્કરની ટીમે આજે આ વિસ્તારની મુલાકાત લીધી હતી. જેમાં આશ્ચર્યજનક દ્રશ્યો જોવા મળ્યા હતા. અત્યાર સુધી અહીંનાં લોકોમાં તંત્રના ડિમોલિશનનાં નિર્ણયને લઈને રોષ જોવા મળ્યો હતો. જોકે આજે જાણે લોકોએ પણ આ નિર્ણયને મને-કમને સ્વીકારી લીધું હોય તેવું લાગતું હતું. અને અનેક લોકો ભારે હૈયે જાતે જ પોતાના મકાન અને દુકાનને હાથોડા તેમજ ડ્રિલિંગ મશીનથી તોડતા અને પાડતા જોવા મળ્યા હતાં. દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં લોકોએ જણાવ્યું હતું કે, તંત્રને અમારો સહયોગ છે, પણ રમઝાન માસ બાદ થયું હોત તો સારૂ હતું. આ ડિમોલિશન માટે 7 રૂટમાં પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ગઈકાલથી જ જંગલેશ્વર વિસ્તારમાં આજી નદી પટ્ટા તથા ટી.પી. રોડ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશાળ સ્તરે તબક્કાવાર કામગીરીનો પ્રારંભ કરી દેવાયો હતો. જેમાં સાંજ(21 ફેબ્રુઆરીની) સુધીમાં 224થી વધારે રહેવાસીઓએ સ્વૈચ્છિક રીતે ઘર ખાલી કર્યા હતા. આજરોજ દિવ્યભાસ્કરની ટીમ જંગલેશ્વર વિસ્તારમાં પહોંચી ત્યારે દરેક ચોકમાં પોલીસ અને મહાપાલિકાનાં અધિકારીઓનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. તો સાથે જ 500 કરતા વધુ લોકો હાથોડા અને ડ્રિલ જેવા સાધનો વડે જાતે જ પોતાના મકાનો તોડતા અને પાડતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. લોકો સ્વેચ્છાએ આ કામગીરી કરતા હતા ત્યાં પણ પોલીસ તેમજ ફાયરનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. ઘરના નાના મોટા સભ્યો હથોડી સહિતના હથિયારો વડે પોતાના ઘરને તોડી રહ્યા હતા. અને દિવસભર આ કામગીરી ચાલુ રહે તેવી શક્યતા છે. આ કામગીરીમાં કાટમાળ ખસેડવા માટે મનપા તંત્ર દ્વારા ટ્રેક્ટર સહિતના સાધનો ઉપલબ્ધ કરાયા છે. જોકે જાતે પોતાના મકાનો દૂર કરતા હતા ત્યારે આ કાર્યવાહી રમઝાન મહિનામાં થતી હોવાનો વસવસો સ્પષ્ટ જોવા મળ્યો હતો. દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં અયુબભાઈ ઉમરેઠિયાએ જણાવ્યું કે, પોલીસ અને સરકારે અમને સારો સપોર્ટ આપ્યો છે. અમને એમ કહેવામાં આવ્યું કે જો તમે હાથે જ દબાણ દૂર કરી નાખો તો બુલડોઝર ચલાવવામાં નહીં આવે. તમે જોઈ શકો છો કે અમે આખા લતાવાળાઓએ ભેગા મળીને અમારા હાથે જ દબાણ દૂર કરી રહ્યા છીએ. પોલીસ તંત્ર અને અમે એકબીજાને સપોર્ટ આપ્યો છે જેથી અહીં જંગલેશ્વરમાં બુલડોઝર ફેરવવામાં નહીં આવે. જોકે અમને અફસોસ એ વાતનો છે કે અત્યારે રમઝાન મહિનો ચાલી રહ્યો છે અને બધાના ધંધા જાય છે. જો તંત્રએ અમને 1 મહિનો આપ્યો હોત તો ઘણું સારું રહેત. આ ચિસ્તીયા ચોક છે અને મેઈન રોડ પર અહીં 1000 જેટલી દુકાનો જાય છે. હવે તંત્ર પાસે કોઈ માંગણી નથી કારણ કે જે થવાનું હતું એ તો થઈ ગયું છે. તંત્રએ અમને સાથ આપ્યો છે અને અમે પણ તેમને પૂરો સહકાર આપ્યો છે. ઈસ્માઈલભાઈએ જણાવ્યું કે, આ સરકારી જગ્યા છે, અમે જાતે જ અમારી સંસ્થાએ જેટલું પડે એટલું અમે કોશિશ કરી છીએ અને સહકાર આપી છીએ, અમે તંત્રને સહકાર આપી છીએ અને અમે પાડી નાખશું જેટલું પડે એટલું કોશિશ કરી છીએ ચાલુ છે અમારી. અમને દુખ તો છે જ, પણ સરકારી જગ્યા છે શું કરી? 35 વર્ષથી અહીં રહી છીએ સાહેબ.તંત્ર પાસે માંગ છે કે અહીં નાના માણસો રહે, જેમ બને તેમ આવાસની યોજનાનું કંઈક ગોઠવે તંત્ર તો માણસને થોડીક રાહત થાય, બાકી તો આપણો તંત્રનો કોઈ વિરોધ નથી. આ સરકારી જગ્યા છે એ 100% અમે માનીએ જ છીએ, આટલા વર્ષો અહીં રહ્યા છીએ. દિવ્યભાસ્કર સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા ફાતમાબેન બુખારીએ જણાવ્યું હતું કે, તેમના પતિનું અવસાન વર્ષ 2005માં થયું હતું અને તેમણે મજૂરી કામ કરીને તેના દીકરાને મોટો કર્યો છે. સરકારે અગાઉ વચન આપ્યું હતું કે મકાન તોડ્યા બાદ તેમને રહેવા માટે વૈકલ્પિક આવાસ (ક્વાર્ટર) આપવામાં આવશે. પરંતુ હવે સરકાર આ વચન પૂરું કરવા તૈયાર નથી. જંગલેશ્વર વિસ્તારમાં મકાનો પર ડિમોલિશન કરવાનું બોર્ડ મારી દેવામાં આવતા સ્થાનિકો મૂંઝવણમાં મુકાયા છે. ગરીબ લોકો ક્યાં જાય? જે લોકો પાસે પૈસા છે તે તો વ્યવસ્થા કરી શકે છે, પરંતુ મારી જેમ એકલવાયું જીવન જીવતા અને મજૂરી કરતા લોકો માટે આ પરિસ્થિતિ અસહ્ય બની છે. અમારી એક જ માંગ છે કે જો મકાન તોડવામાં આવે તો તેના બદલામાં સરકાર દ્વારા આવાસ પૂરા પાડવામાં આવે, જેથી તેઓ પોતાના પરિવાર સાથે સલામત રહી શકે. બીજી તરફ જંગલેશ્વરમાં રહેતા અને ઉભરતા રેપર ચાંદમિયા ફકીરે પોતાના અનોખા અંદાજમાં સરકાર સામે મોરચો માંડ્યો છે. ચાંદમિયાએ ‘જસ્ટિસ ફોર જંગલેશ્વર’ નામનું એક રેપ સોંગ બનાવ્યું છે. જેમાં તેમણે અત્યંત લાગણીશીલ અને આક્રમક રીતે રજૂઆત કરી છે કે, જંગલેશ્વર વિસ્તારમાં છેલ્લા 50 થી 60 વર્ષથી 40,000 થી વધુ લોકો વસવાટ કરી રહ્યા છે. આ લોકો નિયમિત રીતે મકાન વેરો અને લાઈટ બિલ ભરે છે, છતાં અચાનક નોટિસો આપીને તેમના ઘર તોડી પાડવામાં આવી રહ્યા છે. ચાંદમિયાએ સરકારને સવાલ કર્યો છે કે શું આ જનતા સરકારની નથી? શું સરકાર ફક્ત મોટા ઉદ્યોગપતિઓ માટે જ છે? તેણે ગીતના માધ્યમથી નેતાઓ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, “આ કેવો દોર છે, નેતા ચોર છે, ગરીબના ઘર માથે જ કેમ નિકળે રોડ છે.” દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં રેપર ચાંદમિયાએ જણાવ્યું કે હાલમાં રમઝાનનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. જેમાં લોકોમાં ખુશી અને ઉમંગ હોવો જોઈએ, તેના બદલે ડિમોલિશનને કારણે આખા વિસ્તારમાં માતમ જેવો માહોલ છવાઈ ગયો છે. લોકો પોતાના ઘર-બાર ગુમાવી રહ્યા છે અને સામાન લઈને રસ્તા પર આવી ગયા છે. આ સ્થિતિમાં લોકો જીવતે જીવ મરી રહ્યા હોય તેવો અનુભવ કરી રહ્યા છે. તેણે સરકારને કરબદ્ધ વિનંતી કરી છે કે વિકાસના નામે ગરીબોને બેઘર ન કરવા જોઈએ. જો રોડ બનાવવો અનિવાર્ય હોય, તો પહેલા આ ગરીબ પરિવારોને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી જોઈએ. અને તે પણ ન થાય તો કમસે કામ સમય તો આપવો જોઈએ. વધુમાં તેમણે જણાવ્યું કે, હું જન્મથી જ જંગલેશ્વરમાં મારા માતા-પિતા સહિત 7 લોકોના પરિવાર સાથે રહુ છું. છેલ્લા 5 વર્ષથી વિવિધ મુદ્દે રેપસોંગ બનાવું છું. હાલમાં પોતે નીલકંઠ સદ્દગુરુ સોડા શોપમાં નોકરી કરીને પોતાના પરિવારના સભ્યોનું ભરણપોષણ કરે છે. અતિ સામાન્ય આર્થિક પરિસ્થિતિ હોવા છતાં, તેણે પોતાના વિસ્તારના લોકોની પીડાને વાચા આપવા માટે આ ગીત બનાવ્યું છે. તેણે અપીલ પણ કરી છે કે કોઈ સંવેદનશીલ નેતાએ જંગલેશ્વરની રૂબરૂ મુલાકાત લેવી જોઈએ અને ગરીબો કેવી કપરી સ્થિતિમાં છે તે જોઈને તેમના પર દયા કરી ન્યાય અપાવવો જોઈએ. રાજકોટ મનપાનાં કમિશ્નર તુષાર સુમેરાએ ગઈકાલે જ આ અંગે જણાવ્યું હતું કે, રાજકોટના જંગલેશ્વર વિસ્તરમાં નદીકાંઠા વિસ્તારના અને મનપાના ટીપી રોડ પર આવતા દબાણગ્રસ્ત 1489 જેટલી મિલ્કત ઉપર ડિમોલિશન માટે પ્રક્રિયા શરૂ કટવામાં આવી છે. મનપાના અધિકરીઓ કમર્ચારીઓ અને પોલીસના આ કર્મચારીઓ આજે વિસ્તારમાં પહોંચી લોકોને સમજાવી સ્વૈચ્છિક ખાલી કરવા જાણ કરવામાં આવી રહી છે. ઘણા લોકો પ્રેમથી ખાલી કરી રહ્યા છે અમે તેમને અમારા સાધનો પણ આપી રહ્યા છીએ. કુલ 1489 પૈકી મોટા ભાગના એવા મકાનો છે જે આખા તોડી પાડવામાં આવશે. નિયમ મુજબ ડિમોલિશન પ્રક્રિયા કરવામાં આવશે અને કંટ્રોલરૂમમાં બેસીને હું જાતે આ કામગીરીનું નિરીક્ષણ કરીશ. ઉલ્લેખનીય છે કે, મનપા તંત્ર દ્વારા આવતીકાલથી જંગલેશ્વરમાં ડિમોલિશન કરવામાં આવનાર છે. જોકે અહીંના લોકોએ આ હકીકત સ્વીકારી લીધી હોય તેમ આજથી જ પોતાના મકાનો જાતે તોડવાનું શરૂ કરતાં જાણે ડિમોલિશન શરૂ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. હાલ એકતરફ રમઝાન મહિનો ચાલી રહ્યો છે, જ્યારે બીજીતરફ લોકોને પોતાના મકાનો અને દુકાનો તોડવાની ફરજ પડી છે. જેને લઈને લોકોમાં થોડો કચવાટ જોવા મળી રહ્યો છે. પરંતુ લોકોએ તંત્રના નિર્ણયને સ્વીકારી લીધો હોય તેવું લાગી રહ્યું હોવાથી હાલ ઘર્ષણ થવાની શક્યતા નહીંવત લાગી રહી છે.
સુરત શહેરના સરસાણા વિસ્તારમાં રહેતા એક જમીન દલાલને પોતાના મિત્ર પર ભરોસો કરવો ભારે પડ્યો છે. માર્બલના વેપારી મિત્રએ ધંધાના બહાને લાખો રૂપિયા ઉછીના લીધા બાદ પરત ન કરી વિશ્વાસઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે અલથાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ધંધામાં મદદના નામે 42.45 લાખ મેળવ્યાવિગતો મુજબ સરસાણામાં રહેતા જમીન દલાલનો સંપર્ક માર્બલનો વ્યવસાય કરતા એક શખ્સ સાથે હતો. મિત્રતાના દાવે આરોપીએ ધંધામાં નાણાંની જરૂર હોવાનું જણાવી ટુકડે-ટુકડે કુલ 42.45 લાખ ઉછીના લીધા હતા. શરૂઆતમાં બધું બરાબર ચાલતું હતું અને મિત્ર હોવાના નાતે જમીન દલાલે પણ કોઈ શંકા કરી ન હતી. અડધા પૈસા પરત કર્યા, બાકીની રકમમાં ખેલ પાડ્યોસમય જતાં માર્બલના વેપારીએ ઉછીના લીધેલા નાણાંમાંથી 18.56 લાખ પરત કરી દીધા હતા. જોકે, બાકી રહેતા 23.89 લાખ આપવાના સમયે તેની દાનત બગડી હતી. વારંવારની ઉઘરાણી કરવા છતાં તે વાયદાઓ કરતો રહ્યો હતો અને અંતે પૈસા આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. મોબાઈલ બ્લોક કરી આરોપી રાજસ્થાન ફરારજ્યારે જમીન દલાલે કડકાઈથી પોતાના પૈસા માંગ્યા, ત્યારે આરોપીએ સંપર્ક તોડી નાખવા માટે મિત્રનો મોબાઈલ નંબર બ્લોક કરી દીધો હતો. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપી સુરત છોડીને રાજસ્થાન ભાગી ગયો છે. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા જમીન દલાલે તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસ ફરિયાદ મુજબ સરસાણાના માસ્ટર મહોલ્લામાં રહેતા 47 વર્ષીય જમીન દલાલ હેમંતભાઈ બાલુભાઈ પટેલની મિત્રતા અડાજણમાં રહેતા લેખરાજભાઈ રામઅવતાર યાદવ (રહે. શાંતિકુંજ રેસીડન્સી) સાથે હતી. લેખરાજ માર્બલનો વેપાર કરતો હોય, તેણે ધંધાકીય જરૂરિયાત માટે હેમંતભાઈ પાસે મદદ માંગી હતી. મિત્રતાના દાવે હેમંતભાઈએ નવેમ્બર-ડિસેમ્બર 2024 દરમિયાન કુલ 42.45 લાખ લેખરાજને ઉછીના આપ્યા હતા. પરત માંગતા 18.56 લાખ આપી વાયદા શરૂ કર્યાથોડા સમય બાદ જ્યારે હેમંતભાઈએ પોતાના પૈસા પરત માંગ્યા ત્યારે લેખરાજે ટુકડે-ટુકડે 18.56 લાખ પરત કર્યા હતા. જોકે, બાકી નીકળતા 23.89 લાખ આપવા માટે તે સતત વાયદાઓ કરતો રહ્યો હતો. પૈસા પરત ન આપવા પડે તે માટે આરોપીએ હેમંતભાઈને વિશ્વાસમાં લેવા ત્રાહિત વ્યક્તિના કોરા ચેક પણ આપ્યા હતા, જે માત્ર સમય પસાર કરવાની યુક્તિ સાબિત થઈ હતી. છેવટે નંબર બ્લોક કરી આરોપી ભૂગર્ભમાં ઉતરી ગયોલાંબા સમય સુધી ઉઘરાણી કરવા છતાં બાકી રકમ પરત ન મળતા હેમંતભાઈએ દબાણ કર્યું હતું. આથી, લેખરાજે હેમંતભાઈનો મોબાઈલ નંબર બ્લોક કરી દીધો હતો અને સંપર્ક તોડી નાખ્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું કે, આરોપી લેખરાજ યાદવ સુરત છોડીને રાજસ્થાન ભાગી ગયો છે. મિત્ર દ્વારા જ આર્થિક છેતરપિંડી થતા હેમંતભાઈએ કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો. અલથાણ પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યાઆ મામલે અલથાણ પોલીસે જમીન દલાલની ફરિયાદના આધારે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે. પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીને પકડવા માટે ટેકનિકલ સર્વેલન્સની મદદ લેવામાં આવી રહી છે અને એક ટીમ રાજસ્થાન રવાના કરવાની તજવીજ પણ હાથ ધરાઈ છે.
ગાંધીનગર જિલ્લા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સામાજિક એકતા અને કુરિવાજોના નિર્મૂલનના ઉમદા હેતુ સાથે 28માં ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રાંદેસણ મેટ્રો સ્ટેશન સામે આવેલા ધોળેશ્વર મહાદેવ મુકામે યોજાયેલા સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં પાડનાર 50 નવ યુગલોએ મહાનુભાવોએ આશીર્વચન પાઠવ્યા હતા. રિવાબા જાડેજા અને સંજયસિંહ મહીડા હાજર રહ્યાંગાંધીનગર જિલ્લા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સામાજિક એકતા અને કુરિવાજોના નિર્મૂલનના ઉમદા હેતુ સાથે 28માં ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી રિવાબા જાડેજા અને સંજયસિંહ મહીડા સહિત પૂર્વ મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને બળવંતસિંહ રાજપૂતે પણ અતિથિ વિશેષ તરીકે હાજરી આપી હતી. મહાનુભાવો દ્વારા આશીર્વચન અને કન્યા વિદાયનો પ્રસંગ જ્યારે સુપ્રસિદ્ધ ધોળેશ્વર મહાદેવ મંદિરના મહંત રામસ્વરૂપજી મહારાજ અને યુવા કથાકાર જલ્પેશ મહેતાએ દંપતિઓને આશીર્વાદ આપ્યા હતાં. આ લગ્નોત્સવની શરૂઆત ગણેશ સ્થાપન અને ગ્રહશાંતિથી થઈ હતી. સવારે જાનનું આગમન થયા બાદ હસ્ત મેળાપની વિધિ સંપન્ન થઈ હતી. બાદમાં બપોરે મહાનુભાવો દ્વારા આશીર્વચન અને કન્યા વિદાયનો પ્રસંગ યોજાયો હતો. ગુજરાતમાં છેલ્લા 50 વર્ષથી સમૂહ લગ્નોની પરંપરા ચાલી રહી છેઃ ભૂપેન્દ્રસિંહ આ સમૂહ લગ્નોત્સવમાં ખાસ ઉપસ્થિત રહેલા પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આજકાલ દરેક સમાજમાં સમૂહ લગ્નએ સમયની અનિવાર્ય જરૂરિયાત બની ગઈ છે. સમાજમાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકો ઘણીવાર દેખાદેખીમાં દેવું કરીને મોટો ખર્ચ કરતા હોય છે, જેની સામે સમૂહ લગ્ન એક ઉત્તમ વિકલ્પ છે. ગુજરાતમાં છેલ્લા 50 વર્ષથી સમૂહ લગ્નોની પરંપરા ચાલી રહી છે. ‘દીકરીઓને સંયુક્ત કુટુંબમાં રહેવાનો આગ્રહ’તેમણે નવપરિણીત દીકરીઓને આશીર્વાદ આપતા ખૂબ જ મહત્વની સલાહ આપી હતી. તેમણે દીકરીઓને સાસરીમાં જઈને માતા-પિતા સમાન સાસુસસરાની સેવા કરવા અને સંપથી રહેવા જણાવ્યું હતું. ખાસ કરીને દીકરીઓને સંયુક્ત કુટુંબમાં રહેવાનો આગ્રહ રાખવા અને પરિવારની ગરિમા જાળવવા પ્રેરણા આપી હતી. દીકરીઓને કરિયાવરમાં વિવિધ વસ્તુઓ અપાઈજ્યારે ટ્રસ્ટના પ્રમુખ શંકરસિંહ એસ. ગોહિલે સમાજ જોગ સંદેશમાં જણાવ્યું હતું કે, વ્યસન, કુરિવાજો અને ખોટા ખર્ચાઓથી દૂર રહીને શિક્ષણ અને સંગઠન પર ભાર મૂકવોએ સમયની માગ છે. આજે સમાજના સહયોગથી 50 દીકરીઓના લગ્ન નિર્વિઘ્ને સંપન્ન થયા છે, જેનો અમને આનંદ છે. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ, ઉદાર હાથે ફાળો આપનાર દાતાઓ અને મોટી સંખ્યામાં સમાજના ભાઈબહેનો ઉપસ્થિત રહ્યા હતા. દીકરીઓને કરિયાવરમાં એવી વસ્તુઓ ભેટ આપવામાં આવી હતી જે કદાચ વ્યક્તિગત રીતે પિતા માટે આપવી મુશ્કેલ હોય.આ ભગીરથ કાર્ય બદલ પૂર્વ મંત્રી ચુડાસમાએ ટ્રસ્ટના હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક યુવકે 15 વર્ષની સગીરાને ફોસલાવી તેની પર છેલ્લા ચાર મહિનાથી અનેકવાર દુષ્કર્મ આચાર્યુ હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ અંગે BNS અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મિત્રના રૂમ પર લઈ જઈ આચર્યું દુષ્કર્મમળતી માહિતી મુજબ ભોગ બનનાર સગીરાની ઉંમર 15 વર્ષની છે. આરોપી ચેતન ઉર્ફે કાનો રમેશભાઈ હડતરા જે રામ કૃપા સોસાયટી, માતૃશક્તિ રોડ, કાપોદ્રાનો રહેવાસી છે. તેણે આ સગીરાને પોતાની જાળમાં ફસાવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી સગીરાને તેને લલચાવી-ફોસલાવી કાપોદ્રા પાસે આવેલી એક સ્કૂલની સામે તેના મિત્રના રૂમ પર લઈ ગયો હતો. આ ઉપરાંત, આરોપી સગીરાને સોસાયટીના ગેટ પાસે આવેલ એક ખાતાના ત્રીજા માળે લઈ જઈ તેની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ સિલસિલો છેલ્લા ચાર મહિનાથી ચાલતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સુરત પોલીસના મદદનીશ પોલીસ કમિશનર A ડિવિઝન વી.આર. પટેલ અને નાયબ પોલીસ કમિશનર ઝોન-1 આલોક કુમારએ રૂબરૂ મુલાકાત લઈ તપાસનું માર્ગદર્શન આપ્યું હતું. પોલીસ દ્વારા ઘટનાસ્થળની મુલાકાત લઈ પંચનામું કરવામાં આવ્યું છે અને ભોગ બનનાર તેમજ આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

30 C