હીટવેવની આગાહીને લઈને શાળા તંત્ર એલર્ટ:સ્કૂલ સંચાલકો માટે જિલ્લા શિક્ષણાધિકારીની મહત્વની સૂચનાઓ
રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાઈ રહ્યું છે ત્યારે શહેરમાં વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા તમામ સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ શાળાઓ માટે એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. હીટવેવ 2026ની તૈયારીઓના ભાગરૂપે શાળાઓને કેટલીક ખાસ સૂચનાઓનું પાલન કરવા આદેશ અપાયો છે. સ્કૂલના આચાર્યને સ્થાનિક સ્તરે નિર્ણય લેવા જણાવાયુંશાળાઓએ શિક્ષકોના માધ્યમથી વિદ્યાર્થીઓને હીટવેવની અસરો અને તેનાથી બચવાના ઉપાયો વિશે માર્ગદર્શન આપવું. ઉનાળા દરમિયાન કોઈપણ પ્રકારના ઓપન-એર (ખુલ્લામાં) વર્ગો યોજવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને બાલવાટિકા અને ધોરણ-1થી 8ના બાળકો માટે સ્કૂલનો સમય બપોરે 12 વાગ્યા સુધી રાખવો હિતાવહ છે, જે અંગે સ્કૂલના આચાર્યને સ્થાનિક સ્તરે નિર્ણય લેવા જણાવાયું છે. આ ઉપરાંત હાલમાં ચાલી રહેલી બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને પરીક્ષાર્થીઓ માટે ઠંડા પાણીની સુવિધા, હવા-ઉજાસની યોગ્ય વ્યવસ્થા અને અન્ય આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવા ખાસ તાકીદ કરવામાં આવી છે.
દોષિતની આજીવન કારાવાસની સજા યથાવત:દાહોદમાં સગીરા ઉપર દુષ્કર્મ આચરી ગળું દબાવતા મૃત્યુ નીપજ્યું હતું
13 વર્ષીય સગીરા સાથે રેપ બાદ તેની હત્યાના મામલે આરોપી મુકેશ ચમકાને આજીવન કેદની સજાને હાઇકોર્ટે યથાવત રાખી છે. આ મામલે આરોપી દ્વારા વર્ષ 2014માં દાહોદની ટ્રાયલ કોર્ટે આપેલા આજીવન કેદના ચુકાદા સામે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જે અપીલ હાઇકોર્ટે ફગાવી કાઢી હતી. ફરિયાદ પક્ષે વાજબી શંકાની બહાર આરોપીના દોષને સાબિત કર્યોહાઈકોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે, આ કેસમાં એકંદરે વિચારણા કરતાં એવું જાણવા મળ્યું છે કે સાંયોગિક પુરાવાઓની સાંકળ સંપૂર્ણ અને અખંડ છે. જે સ્પષ્ટપણે અપીલકર્તાના અપરાધ તરફ નિર્દેશ કરે છે. જેને ફરિયાદી અને છેલ્લે જોનારા સાક્ષી, FIR, તબીબી પુરાવા, FSL રિપોર્ટ્સ અને અપીલકર્તાના ગુના પછીના વર્તન સહિત મુખ્ય સાક્ષીઓની સુસંગત જુબાનીઓ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. ફરિયાદ પક્ષના કેસને નબળી પાડતી કોઈ વિરોધાભાસી કે વિસંગતતા ભરેલી સામગ્રી મળી આવી નથી. ફરિયાદ પક્ષે વાજબી શંકાની બહાર આરોપીના દોષને સાબિત કર્યો છે. તેથી અપીલમાં કોઈ દખલગીરી કરવાની જરૂર નથી. આરોપીએ આચરેલી ક્રૂરતાથી તેના બદ ઈરાદો સ્પષ્ટઆ મામલે હાઈકોર્ટે IPCની કલમ 376 અને 302 હેઠળના ગુના માટે આરોપી પર લાદવામાં આવેલી સજા અને આજીવન કેદની સજાને બહાલી આપી છે. સાથે જ દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીને દોષિત ઠેરવવાના ટ્રાયલ કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો છે. હાઇકોર્ટે અવલોકન કર્યું છે કે હુમલાની ક્રૂરતા અને દુષ્કર્મ પછી ગળું દબાવવાના કૃત્યથી સ્પષ્ટપણે હત્યાનો ઈરાદો અથવા ઓછામાં ઓછું મૃત્યુ સંભવિત પરિણામ હોવાનું કોર્ટને જાણવા મળ્યું છે. હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે આરોપીની અપીલ ફગાવી દેતા અવલોકન કર્યું હતું કે આરોપીએ આચરેલી ક્રૂરતાથી તેના બદ ઈરાદો સ્પષ્ટ થાય છે. ખેતરમાં શરીરે ઇજાઓ સાથે મૃત હાલતમાં મળીઆ કેસમાં ફરિયાદ પક્ષનો એવો આક્ષેપ હતો કે પીડિતાએ ગામમાં મોડી રાત્રે યોજાયેલા એક સામાજિક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ સમાપ્ત થયા પછી આરોપી પીડિતાને તે સ્થળેથી લઈ ગયો અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. બીજા દિવસે સવારે પીડિતા નજીકના ખેતરમાં શરીરે ઇજાઓ સાથે મૃત હાલતમાં મળી આવી હતી. તેથી આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, અને પોલીસે કલમ 376 અને 302 IPC હેઠળ FIR નોંધી હતી. તપાસ દરમિયાન, પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી હતી અને ગુનાના સ્થળનો પંચનામું તૈયાર કર્યું હતું. કપડાં અને અન્ય વસ્તુઓ જપ્ત કરી હતી અને સામગ્રીને ફોરેન્સિક તપાસ માટે મોકલી હતી. બંને ગુનાઓમાં આજીવન કેદની સજા ફટકારીતપાસમાં સાક્ષીઓના નિવેદનો નોંધવા, તબીબી તપાસ કરાવવા અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી રિપોર્ટ મેળવવાનો પણ સમાવેશ થતો હતો. આ મામલે સેશન્સ કોર્ટે આરોપીઓ સામે કલમ 376 અને 302 IPC હેઠળ ગુનાઓ માટે આરોપો ઘડ્યા હતા. ટ્રાયલ પછી કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો હતો અને બંને ગુનાઓ માટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી.
જીનિયસ સ્કૂલના વિદ્યાર્થીઓએ WTPની મુલાકાત લીધી:પાણી શુદ્ધિકરણ પ્રક્રિયાનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું
બોટાદ શહેરના તુરખા રોડ પર આવેલી જીનિયસ ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ 5થી 9 ના વિદ્યાર્થીઓએ તા.12 માર્ચના રોજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP) ની એક દિવસીય શૈક્ષણિક મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો હેતુ વિદ્યાર્થીઓને વિજ્ઞાનના વિષયોમાં પાણીના શુદ્ધિકરણ અને ગંદા પાણીના નિકાલ વિશેના પુસ્તકીય જ્ઞાનની સાથે પ્રાયોગિક અનુભવ પૂરો પાડવાનો હતો. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ અશુદ્ધ પાણીને ક્લોરિનેશન, સેડિમેન્ટેશન અને ફિલ્ટરેશન જેવી વિવિધ પ્રક્રિયાઓ દ્વારા પીવાલાયક શુદ્ધ પાણીમાં રૂપાંતરિત કરવાની આધુનિક પદ્ધતિઓ પ્રત્યક્ષ નિહાળી હતી. તેમણે વપરાયેલા ગંદા પાણીને કેવી રીતે રિસાયકલ કરવામાં આવે છે તેની પણ ઝીણવટભરી માહિતી મેળવી હતી. આવી શૈક્ષણિક મુલાકાતોથી વિદ્યાર્થીઓમાં પાણીના બચાવ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે છે. તે તેમને વ્યવહારિક જ્ઞાન અને સામાજિક જવાબદારીનું ભાન કરાવે છે.આ પ્રવાસમાં વિદ્યાર્થીઓની સાથે સંસ્થાના વિજ્ઞાન શિક્ષકો અને અન્ય સ્ટાફ મિત્રો જોડાયા હતા. પ્લાન્ટના અધિકારીઓએ વિદ્યાર્થીઓના જિજ્ઞાસુ પ્રશ્નોના સરળ ભાષામાં જવાબો આપી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ આનંદ અને ઉલ્લાસ સાથે સંપન્ન થયો હતો.
પાટડી તાલુકાના સિધ્ધસર ગામે મજૂરી કરવા આવેલી મધ્યપ્રદેશની 21 વર્ષીય પરપ્રાંતિય મહિલા પર ખેતરમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. બપોરના સમયે મહિલા એકલી જીરું ઉપાડી રહી હતી ત્યારે એક યુવાને આ કૃત્ય આચર્યું હતું. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. મધ્યપ્રદેશની વતની પર પ્રાંતિય મહિલા તેમના પતિ અને અન્ય એક પરિવાર સાથે રક્ષાબંધન બાદ ખેતીકામ માટે પાટડી પંથકમાં આવ્યા હતા. તેઓ ગામડાના એક ભાઈના 30 વીઘાના ખેતરમાં ભાગીદારીમાં જીરાનું વાવેતર કરી મજૂરી કરતા હતા. ઘટનાના દિવસે, મહિલાના પતિ અને એમનો સાથી જીરાનો પાક ઉતારવા ખેતર માલિકના ઘરે ગયા હતા, જ્યારે અન્ય મહિલા બાજુના ખેતરમાં મજૂરી કરવા ગયા હતા. આથી મહિલા ખેતર માલિકના ખેતરમાં બાકી રહી ગયેલું જીરું એકલા ઉપાડી રહ્યા હતા. આશરે બપોરના બાર વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. તે સમયે એક યુવાન તેમની પાસે આવ્યો હતો અને પાછળથી બાથ ભરી બળજબરીપૂર્વક તેમને નીચે પાડી દુષ્કર્મ આચર્યું હતું. આ કૃત્ય બાદ યુવાને મહિલાને ધમકી આપી હતી કે જો તે કોઈને આ વાત જણાવશે તો તેને અને તેના પતિને જાનથી મારી નાખશે. ધમકી આપીને યુવાન ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે મહિલાએ રવીભાઈ રાજેશભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઇન્ચાર્જ પીઆઈ એ.કે. વાઘેલા આ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે.
રાજકોટમાં સ્ટીલનું વેચાણ કરતા સનરાઈઝ મલ્ટી સ્ટીલ કંપનીના ડિરેક્ટર સાથે રૂ.1.51 કરોડની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. 2 શખ્સોએ આર. પી. સ્ટીલ પેઢીના નામે સ્ટીલ ખરીદવાનું શરૂ કર્યુ હતુ. જે બાદ એક વખત પૂરું પેમેન્ટ આપ્યા બાદ પેમેન્ટમાં ધાંધિયા શરૂ કર્યા હતા. રૂ.3.74 કરોડમાંથી રૂ.2.23 કરોડ ચૂકવ્યા બાદ બાકીના પૈસા ન ચૂકવી ફોન બંધ કરી દીધો હતો. જે બાદ વેપારીએ બંને શખ્સોની પેઢી અને ઘર પર તપાસ કરી હતી. જોકે તેઓ મળી આવ્યા ન હતા. જેથી વેપારીએ બંને શખ્સો સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં બંને શખ્સોએ ગોંડલ, શાપર વેરાવળ અને અમદાવાદમાં માલ લઈ નાણા ન આપ્યાના બનાવો બન્યા હોવાનું જણાવ્યુ હતુ. જેથી પોલીસે તપાસ શરૂ કરી છે. અમે સ્ટીલનું વેચાણ વધે તે માટે સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત આપીએ છીએરાજકોટમાં સનરાઈઝ મલ્ટી સ્ટીલ કંપનીના ડિરેક્ટર 54 વર્ષીય સંજયભાઇ પાણે ક્રાઇમ બ્રાન્ચમા આર.પી.સ્ટીલ પેઢીના પ્રોપરાયટર રૂષીકેશભાઇ પંકજભાઈ મહેતા અને કીશોરભાઈ સામે રૂ.1.51 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2019માં સનરાઇઝ કંપની શરૂ કરી હતી અને 2021માં સ્ટીલનું ઉત્પાદન શરૂ કર્યું હતુ. અમે સ્ટીલનું વેચાણ વધે તે માટે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોથી જાહેરાત આપીએ છીએ. આ દરમિયાન માર્ચ 2025માં ઋષિભાઈ અને કિશોરભાઈએ કોન્ટેક્ટ કર્યો હતો. જેઓ આર. પી. સ્ટીલ નામની કંપની ધરાવતા હોવાનું કહ્યું હતું અને સ્ટીલની જરૂરિયાત વિશે વાત કરી હતી. ફરિયાદીએ બંને સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી જે બાદ રૂ.12,08,460 નો સ્ટીલનો ઓર્ડર આપી નાણા આપી દીધા હતા.ત્યારબાદ રૂ.3,74,31,353 નો સ્ટીલનો માલ મોકલ્યો હતો. જોકે તેમાંથી રૂ.2,23,21,032 આપ્યા હતા અને બાકીના રૂ.1,50,37,980 આપ્યા નહીં. આ ઉપરાંત અગાઉના રૂ.72,347 મળી રૂ.1,51,10,321 આપવાના બાકી છે. બાકી નાણાં બાબતે અનેક વખત ફોન કરવા છતાં બંને દ્વારા ફોન ઉપાડવામાં આવ્યા ન હતા. જે પછી તપાસ કરતા આર. પી. સ્ટીલની સાઇટ બંધ હતી અને ઋષિકેશભાઈના ઘરે જતા ત્યાં પણ તેઓ મળી આવ્યા ન હતા. જેથી ફરિયાદીએ બંને સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4),3(5) મૂજબ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
બનાસકાંઠામાં LPG ગેસનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ:વહીવટી તંત્રની નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અપીલ
પાલનપુર ખાતે જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ગેસ એજન્સીના સંચાલકો સાથે બેઠક યોજાઈ હતી. મધ્યપૂર્વ વિસ્તારમાં ઉભી થયેલી બદલાતી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને રાજ્યના નાગરિકોને ઘરેલું ઉપયોગ માટે એલ.પી.જી. ગેસ સીલીન્ડરનો પૂરતો અને નિયમિત પુરવઠો મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનીટરીંગ અને જરૂરી આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર તેમજ સંબંધિત વિભાગો દ્વારા ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સાથે સમન્વય સાધીને ગેસ પુરવઠા વ્યવસ્થા સુચારૂ રહે તે માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ બેઠકમાં જિલ્લા કલેકટર મિહિર પટેલે જણાવ્યું કે, જિલ્લામાં હાલમાં કુલ 37 ગેસ એજન્સીઓ કાર્યરત છે. આ 37 એજન્સીઓ મારફતે ત્રણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ગેસનો પુરવઠો આપવામાં આવે છે. આ કંપનીઓ દ્વારા ગેસ સીલીન્ડરની સપ્લાય નિયમિત રીતે કરવામાં આવી રહી છે અને જિલ્લામાં ગેસનો પુરવઠો સુનિશ્ચિત રહે તે માટે યોગ્ય આયોજન કરવામાં આવ્યું છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, બનાસકાંઠા જિલ્લામાં ગેસ સપ્લાય સંપૂર્ણપણે નિયમિત છે અને પુરવઠામાં કોઈપણ પ્રકારની અછત કે વિક્ષેપ સર્જાયો નથી. પરિણામે, જિલ્લાની તમામ ગેસ એજન્સીઓને ગ્રાહકોની જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં ગેસ સીલીન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. જિલ્લાના તમામ ગ્રાહકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરે અને પોતાની જરૂરિયાત મુજબ જ ગેસ સીલીન્ડર બુકિંગ કરાવે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે એક જ ગ્રાહક દ્વારા ગેસ સીલીન્ડર બુકિંગ વચ્ચે ઓછામાં ઓછો 25 દિવસનો સમયગાળો રાખવો ફરજિયાત રહેશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ એ છે કે ગેસનો અનાવશ્યક સંગ્રહ ન થાય અને તમામ ગ્રાહકોને સમાન રીતે ગેસ સીલીન્ડર ઉપલબ્ધ રહે. આ ઉપરાંત, કોઈપણ વ્યક્તિ દ્વારા એલ.પી.જી. ગેસ સીલીન્ડરનો અનધિકૃત સંગ્રહ, કાળાબજારી અથવા નિયત કરેલી કિંમત કરતાં વધુ ભાવ વસુલ કરવામાં આવે તો તેની સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ - 1955 તથા એલ.પી.જી. કંટ્રોલ ઓર્ડર - 2000 હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ ગેસનો અનાવશ્યક સંગ્રહ ન કરે અને નિયમોનું પાલન કરીને ગેસ સીલીન્ડરનો ઉપયોગ કરે. સરકાર તથા સંબંધિત વિભાગો દ્વારા ગેસ પુરવઠાની વ્યવસ્થા પર સતત નજર રાખવામાં આવી રહી છે જેથી દરેક ગ્રાહક સુધી ગેસ સીલીન્ડર સમયસર પહોંચે.
ગુજરાતમાં ઓનલાઇન ગેમિંગ અને સટ્ટાબાજી પર અંકુશ લાવવા માટે અમલમાં આવેલા નવા કાયદા હેઠળ સુરત સાયબર ક્રાઇમ સેલે મોટી કાર્યવાહી કરી છે. રાજ્યનો આ પ્રકારનો સૌ પ્રથમ કેસ સુરતમાં નોંધીને પોલીસે મોટા વરાછા વિસ્તારમાંથી બે સગા ભાઈઓની ધરપકડ કરી છે. આ બંને ભાઈઓ વેબસાઈટના માધ્યમથી ક્રિકેટ સટ્ટો અને કેસિનો જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. 'ઓનલાઇન ગેમિંગ એક્ટ-2025' હેઠળ કાર્યવાહીગુજરાત સરકાર દ્વારા ઓનલાઇન જુગાર અને સટ્ટાબાજીને રોકવા માટે 'The Promotion and Regulation of Online Gaming Act-2025' અમલમાં મૂકવામાં આવ્યો છે. આ નવા કાયદાની કલમ-9 મુજબ સમગ્ર ગુજરાતમાં સૌથી પહેલો ગુનો સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. સાયબર સેલે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. મોટા વરાછાના 'ખેની બ્રધર્સ'ની ધરપકડસાયબર ક્રાઇમ સેલે મોટા વરાછામાં આવેલા સુદામા ચોક પાસેની 'આવિષ્કાર હાઇટ્સ'માં દરોડા પાડ્યા હતા. અહીંથી પોલીસે જીગ્નેશ ભીમજીભાઈ ખેની (ઉ.વ. 40) અને તેના ભાઈ કેયુર ભીમજીભાઈ ખેની (ઉ.વ. 36)ની અટકાયત કરી છે. આ બંને મૂળ ભાવનગરના ગારીયાધાર તાલુકાના પરવડી ગામના વતની છે અને સુરતમાં વેપારની આડમાં ઓનલાઇન સટ્ટાનું નેટવર્ક ચલાવતા હતા. તેમની પાસેથી ચાર મોંઘા દાટ મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. 'ઓલ પેનલ' વેબસાઈટ દ્વારા ચાલતો ખેલપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલા બંને ભાઈઓ વોન્ટેડ આરોપી 'ગોલ્ડી' નામના શખસના સંપર્કમાં હતા. ગોલ્ડી પાસેથી તેઓ www.allpanelexch.app નામની વેબસાઈટના આઈડી અને પાસવર્ડ મેળવતા હતા. આ વેબસાઈટ પર ક્રિકેટ મેચનો સટ્ટો અને કેસિનોની વિવિધ ગેમ્સ ઉપલબ્ધ હતી. આરોપીઓ આ આઈડી પોતાના ગ્રાહકોને આપી તેમની પાસેથી રોકડમાં નાણાં ઉઘરાવતા હતા. મોબાઈલમાંથી મળ્યા સટ્ટાના પુરાવાધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી પોલીસે કુલ 1.80 લાખની કિંમતના 4 મોબાઈલ ફોન કબજે કર્યા છે. આ મોબાઈલ ફોનની પ્રાથમિક તપાસમાં અનેક ગ્રાહકોના આઈડી, પાસવર્ડ અને નાણાકીય વ્યવહારના સ્ક્રીનશોટ મળી આવ્યા છે. આરોપીઓ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કેવી રીતે લોકો પાસે જુગાર રમાડતા હતા તેના મજબૂત પુરાવા પોલીસને હાથ લાગ્યા છે. ઓનલાઇન જુગારના નેટવર્ક પર પોલીસની વોચસુરત પોલીસના જણાવ્યા અનુસાર, નવા કાયદા હેઠળ હવે ઓનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ પૂરું પાડનાર અને રમનાર બંને વિરુદ્ધ કડક જોગવાઈઓ છે. હાલમાં પોલીસ આ કેસમાં વોન્ટેડ 'ગોલ્ડી'ની શોધખોળ કરી રહી છે. આગામી દિવસોમાં આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય એજન્ટો અને મોટા માથાઓની પણ ધરપકડ થવાની શક્યતા છે. સાયબર સેલે નાગરિકોને આવી ગેરકાયદેસર વેબસાઈટથી દૂર રહેવા અપીલ કરી છે.
વડોદરાની એક દુષ્કર્મ પીડિત સગીરા ગર્ભવતી બનતા 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. સગીરાના મેડિકલ રિપોર્ટમાં ગર્ભપાત કરવામાં જોખમ રહેલું હોય કોર્ટે ગર્ભપાતની અરજી નામંજૂર કરી છે. સગીરાની ડિલિવરની ખર્ચ અને બાળકના જન્મ બાદ માતા અને બાળકનો 6 મહિના સુધીનો ખર્ચ રાજ્ય સરકાર આપશે. દુષ્કર્મ પીડિતાને ગર્ભ રહી જતા ગર્ભપાત માટે હાઈકોર્ટમાં અરજી કરી હતીવડોદરાથી એક દુષ્કર્મ પીડિત સગીરાના 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે સગીરા ગર્ભ રાખવા માંગતી નથી. જેથી તેને ગર્ભપાતની મંજૂરી આપવામાં આવે. ગુજરાત હાઇકોર્ટે આ અરજી મુદ્દે વડોદરાની SSG હોસ્પિટલના મેડિકલ બોર્ડને 11 માર્ચના રોજ સગીરાની મેડિકલ તપાસના આદેશ આપ્યા હતા.જેનો રીપોર્ટ આજે કોર્ટ સમક્ષ મુકવામાં આવ્યો હતો. જે સગીરાના ગર્ભપાતના પક્ષમાં નહોતો. બાળકને જન્મ આપે તેના કરતા ગર્ભપાતમાં વધુ જોખમ હોવાનો રિપોર્ટરિપોર્ટ મુજબ સગીરાના ગર્ભપાતમાં જોખમ રહેલું છે, આ જોખમ તે બાળકને જન્મ આપે તેના કરતા વધુ છે. વળી જો બાળક જીવતું જન્મે તો શ્વસનમાં તકલીફ અને હેમરેજ જેવી સમસ્યા સર્જાઈ શકે છે. જેથી તેને વેન્ટિલેટર ઉપર રાખવું પડી શકે તેમ છે. જેથી ગુજરાત હાઇકોર્ટે સગીરાના ગર્ભપાતની મંજૂરી આપી નથી. ગુજરાત હાઇકોર્ટે આદેશ કર્યો હતો કે સગીરાને બાળકને જન્મ આપવામાં હોસ્પિટલ દ્વારા પૂરતી કાળજી સાથે મદદ કરવામાં આવે. બાળકના જન્મ બાદ સગીરાની ઈચ્છા જાણીને તેને ચાઈલ્ડ એડોપ્શન એજન્સીને સોંપવામાં આવે. જો સગીરા પરિવાર સાથે રહેવા માણતી ન હોય તો તેને નારી સંરક્ષણ ગ્રુહમાં મૂકવામાં આવે. સગીરાની ડિલિવરીનો ખર્ચ રાજ્ય સરકાર ઉપાડશેસગીરાની ડિલિવરીનો ખર્ચ રાજ્ય સરકાર ઉપાડશે. તેમજ ત્યારબાદ છ મહિના સુધી બાળક અને સગીરાની દેખરેખનો ખર્ચ પણ રાજ્ય આપશે. સગીરાને વ્યવસાયની તાલીમ આપવામાં આવે. સગીરાને ભણતર માટે ડિસ્ટ્રિક્ટ સર્વિસ ઓથોરિટી નિર્ણય લે. આ સમગ્ર પ્રક્રિયા ઉપર DLSAના સેક્રેટરી નિરીક્ષણ કરશે. આ સમાચાર પણ વાંચોઃ28 સપ્તાહ પ્રેગ્નેન્ટ સગીરાને ગર્ભપાતની મંજૂરી આપવા હાઈકોર્ટનો ઇનકાર 14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 28 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી આપવા ઇનકાર કરતાં ચુકાદામાં હાઇકોર્ટે નોંધ્યું છે કે, આ કેસમાં સગીર પીડિતાને ગર્ભપાતમાં જીવનું જોખમ રહેલું છે અને બીજી તરફ ગર્ભસ્થ શિશુને પણ જીવનનો અધિકાર છે. તેથી ઉક્ત સંજોગોમાં કોર્ટનો ન્યાયિક અંતરાત્મા બે જીવોને જોખમમાં મૂકતો આદેશ પસાર કરવા તૈયાર નથી. તેથી ગર્ભપાતની મંજૂરી આપી શકાય એમ નથી.(સંપૂર્ણ સમાચાર વાંચો)
વાપી દુષ્કર્મ કેસ: આરોપીની જામીન અરજી નામંજૂર:સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો
વલસાડ જિલ્લાના વાપીમાં એક 16 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં આરોપી વિકાસ રતિલાલ મીણાની જામીન અરજી વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટે નામંજૂર કરી છે. સ્પેશિયલ જજ એચ.એન. વકીલે સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં રાખી આ મહત્વનો ચુકાદો આપ્યો હતો. કેસની વિગત મુજબ, મૂળ મધ્યપ્રદેશની અને હાલ વાપીમાં રહેતી 15 વર્ષ અને 8 માસની કિશોરી ગત તારીખ 17મી મે, 2025ના રોજ સાંજે ગુમ થઈ હતી. સગીરાના પિતાએ ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની દીકરીને કોઈ અજાણ્યો શખ્સ લલચાવી-ફોસલાવી અપહરણ કરી ગયો છે. ડુંગરા પોલીસે તપાસ હાથ ધરતા જાણવા મળ્યું કે, આરોપી વિકાસ રતિલાલ મીણા સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો અને તેની પર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જેલવાસ ભોગવી રહેલા આરોપી વિકાસ મીણાએ જામીન પર મુક્ત થવા માટે પ્રથમ વખત રેગ્યુલર જામીન અરજી કરી હતી. જિલ્લા સરકારી વકીલ (DGP) અનિલ ત્રિપાઠીએ જામીનનો સખત વિરોધ કરતા દલીલ કરી હતી કે આરોપીએ સગીરા સાથે ગંભીર ગુનો આચર્યો છે. જો તેને જામીન આપવામાં આવે તો કેસની ન્યાયિક પ્રક્રિયા પર પ્રતિકૂળ અસર પડી શકે છે. સ્પેશિયલ જજ એચ.એન. વકીલે ગુનાની ગંભીરતા અને સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં રાખી આરોપીની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો. આ ચુકાદાથી સગીરાઓના જાતીય શોષણના કિસ્સાઓમાં કાયદાનું કડક વલણ ફરી એકવાર સ્પષ્ટ થયું છે.
નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી (NGES) કેમ્પસ ખાતે તાજેતરમાં UPSC અને GPSC અંગે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં 350થી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના આશાવાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી, જેના કારણે કાર્યક્રમ ખૂબ જ માહિતીપ્રદ રહ્યો. કાર્યક્રમ દરમિયાન, અનુભવી કીનોટ સ્પીકર વિવેક ઠાકર અને તેમની ટીમ દ્વારા UPSC અને GPSC જેવી પ્રતિષ્ઠિત પરીક્ષાઓ માટે તૈયારી કરવાની યોગ્ય દિશા, અભ્યાસ પદ્ધતિ અને સફળતા માટે જરૂરી શિસ્ત અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી સત્રમાં સક્રિયપણે ભાગ લીધો અને કાર્યક્રમને લાભદાયક ગણાવ્યો. આ પ્રસંગે જાહેરાત કરવામાં આવી કે NGES કેમ્પસમાં મધ્ય એપ્રિલ પછી UPSC અને GPSC માટે વિશેષ કોચિંગ ક્લાસિસ શરૂ કરવામાં આવશે. આ ક્લાસિસમાં Symbiosis Academy ના અનુભવી અને નિષ્ણાત ફેકલ્ટી દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. તાજેતરમાં આ સંસ્થાના ચાર વિદ્યાર્થીઓએ UPSC પરીક્ષામાં સફળતા મેળવી છે, જે તેમની શિક્ષણ પદ્ધતિની ગુણવત્તા દર્શાવે છે. NGES કેમ્પસના સંચાલક ડૉ. જય ધ્રુવે જણાવ્યું હતું કે સંસ્થા પાટણ જિલ્લાના વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાનું માર્ગદર્શન અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે શ્રેષ્ઠ તૈયારી અહીં જ ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે આ પહેલથી પાટણ જિલ્લાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને હવે મોટા શહેરોમાં જવાની જરૂરિયાત વગર જ શ્રેષ્ઠ માર્ગદર્શન મળશે. સેમિનારના અંતે વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને ઘણા વિદ્યાર્થીઓએ આવનારા UPSC અને GPSC ક્લાસિસમાં જોડાવા માટે રસ દર્શાવ્યો. આ પ્રસંગે NGES ની તમામ સંસ્થાઓના પ્રિન્સિપાલો અને સ્ટાફ પણ હાજર રહ્યા હતા.
શહેરના નિકોલ વિસ્તારમાં ડી માર્ટ પાસે આવેલા ચાર રસ્તા નજીક ફાયર સ્ટેશનથી ડી - માર્ટ તરફ જવાના રોડ ઉપર ગેરકાયદેસર રીતે 25થી વધુ ખાણીપીણીની લારીઓ રોડ પર ઉભી રહેતી હોવાને લઈને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આજે 12 માર્ચના રોજ સાંજે ડ્રાઇવ કરીને 10થી વધુ લારીઓને જપ્ત કરી લેવામાં આવી હતી. નવા બનાવેલા રોડ ઉપર ગેરકાયદેસર રીતે દરરોજ ખાણીપીણી બજાર ઊભું કરી દેવામાં આવે છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે એસ્ટેટ વિભાગ દ્વારા અવારનવાર લારીવાળાઓને લારી ન ઉભી રાખવાની સૂચના આપવા છતાં પણ દાદાગીરી કરી રોડ ઉપર લારી ઉભી રાખી ટ્રાફિક કરતા આજે લારીઓ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. લોકો પોતાના વાહનો રોડ પર મૂકીને ખાવા માટે ઊભા રહી જાય છેનિકોલ ફાયર સ્ટેશનથી ડી- માર્ટ તરફ જવાના રોડ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટની બહારના ભાગે દરરોજ સાંજે 4 વાગ્યાથી મોડી રાત સુધી ખાણીપીણીની લાગી જાય છે. રોડ ઉપર લારીઓ મૂકી અને ખાણીપીણી બજાર શરૂ કરી દેવામાં આવે છે. ફૂડ કોર્ટની ગાડી લઈને પણ કેટલાક લોકો ટેબલ ખુરશી લગાવીને રોડ ઉપર જ ગેરકાયદે ખાણીપીણીનો ધંધો શરૂ કરી દીધો છે. રોડ ઉપર તારી અને ફૂડ કોર્ટની ગાડી લગાવવામાં આવી હોવાના કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. લોકો પોતાના વાહનો રોડ ઉપર મૂકીને ખાવા માટે ઊભા રહી જાય છે. એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા સાંજે દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતીમ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગમાં આ બાબતે અવારનવાર ફરિયાદો અને અરજી કરવામાં આવી હતી, જેના પગલે આજે 12 માર્ચના રોજ એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા સાંજે દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. સાંજે એસ્ટેટ વિભાગની ત્રણ ગાડીઓ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને રોડ પર જેટલી પણ લારીઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. 10થી વધુ લારીઓને જપ્ત કરી લેવામાં આવી છે, જેને હવે 90 દિવસ સુધી છોડવામાં આવશે નહીં.તેને ઉપાડી લેવામાં આવ્યું હતું. ખાણીપીણી બજારને સદંતર બંધ કરાવવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવીઅવારનવાર ભૂતકાળમાં પણ લારીઓના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જોકે, કેટલાક લારીવાળાઓ સ્થાનિક અસામાજિક તત્વોનો લાભ લઈને લારીઓ ચલાવતા હતા. જોકે એસ્ટેટ વિભાગ દ્વારા હવે આ ખાણીપીણી બજારને સદંતર બંધ કરાવવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જો હવે ખાણીપીણી બજાર શરૂ થશે તો પોલીસ ફરિયાદ નોંધાવવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નિકોલ વિસ્તારમાં ડી માર્ટ પાસે ચાર રસ્તા ઉપર ગેરકાયદેસર રીતે સૌપ્રથમ ચારથી પાંચ લારીઓ ઉભી રહેતી હતી હવે 25 જેટલી લારીઓ અને ફૂડ કોર્ટની ગાડીઓ ઉભી રહે છે. સાંજે ચાર વાગ્યાથી મોડી રાત સુધી ગેરકાયદેસર ખાણીપીણી બજાર ચલાવવામાં આવે છે. એસ્ટેટ વિભાગના અધિકારીઓ જ્યારે દૂર કરવા જાય ત્યારે તેમના સાથે લારી ધારકો દ્વારા ઘર્ષણ કરવામાં આવે છે. પોલીસ બંદોબત માનવામાં આવે છે પરંતુ, પોલીસનો સપોર્ટ ન હોવાના કારણે પણ હટાવી શકાતી નથી. મોડી રાત સુધી ખાણીપીણી બજારો ચાલતી હોય છે, જેમાં ક્યાંક ને ક્યાંક સ્થાનિક નિકોલ પોલીસની પણ મિલીભગત હોવાની ચર્ચા છે. નવો રોડ બનાવવામાં આવ્યો છે છતાં પણ આવા રોડ ઉપર બજારો શરૂ થઈ ગયા છે તેને દૂર કરાવવા ભાજપના કોર્પોરેટરોને પણ આ લારીઓ હટાવવામાં રસ નથી.
ગોધરાની ડૉ. ઝાકીર હુસૈન હાયર સેકન્ડરી સ્કૂલ દ્વારા ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થીઓ માટે મેડિકલ ફિલ્ડ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને મેડિકલ ક્ષેત્રની વાસ્તવિક કામગીરી, શિક્ષણ અને સંશોધન પ્રક્રિયાની નજીકથી સમજ આપવાનો હતો. વિદ્યાર્થીઓએ ગોધરા સ્થિત શ્રી શામળાજી હોમિયોપેથિક મેડિકલ કોલેજ, હોસ્પિટલ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SSHMC)ની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, દાહોદ રોડ નજીક કનેલાવ તળાવ પાસે આવેલી ફિઝિયોથેરાપી કોલેજની પણ મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન, કોલેજના નિષ્ણાત પ્રોફેસરો અને તબીબોએ વિદ્યાર્થીઓને હોમિયોપેથિક શિક્ષણ પદ્ધતિ, લેબોરેટરીમાં થતા વૈજ્ઞાનિક પ્રયોગો, દવાઓની તૈયારી પ્રક્રિયા અને રોગનિદાનની પદ્ધતિ વિશે વિગતવાર માહિતી આપી હતી. વિદ્યાર્થીઓએ લેબોરેટરીમાં ચાલી રહેલા વિવિધ ટેસ્ટિંગ અને પ્રયોગોને નજીકથી નિહાળ્યા હતા. હોસ્પિટલ વિભાગમાં દર્દીઓની સારવાર કેવી રીતે કરવામાં આવે છે, ડોક્ટરો કેવી રીતે દર્દીઓનું નિદાન અને સારવાર કરે છે તે અંગે પણ વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અનુભવ મળ્યો. હોમિયોપેથિક દવાઓ કેવી રીતે તૈયાર થાય છે અને તે દર્દીઓને કેવી રીતે આપવામાં આવે છે તેની પ્રેક્ટિકલ સમજ પણ અપાઈ હતી. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને મેડિકલ ક્ષેત્રમાં ચાલી રહેલા રિસર્ચ, નવીનતા અને ભવિષ્યમાં ઉપલબ્ધ કારકિર્દી સંભાવનાઓ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. આ સમગ્ર વિઝિટ દરમિયાન વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને જિજ્ઞાસા જોવા મળી હતી. આ પ્રકારના પ્રેક્ટિકલ એક્સપોઝરથી વિદ્યાર્થીઓમાં સાયન્સ અને મેડિકલ ક્ષેત્ર પ્રત્યેની રુચિ વધુ વધશે. સાથે સાથે ભવિષ્યમાં ડોક્ટર, હોમિયોપેથિક અથવા એલોપેથીક ફિઝિશિયન, ફિઝિયોથેરાપીસ્ટ, રિસર્ચર અથવા સાયન્ટિસ્ટ બનવાના તેમના સપનાઓને વધુ સ્પષ્ટ અને મજબૂત બનાવવામાં પણ મદદ મળશે.
ગાંધીનગર મહાનગરપાલિકાની આવતીકાલે 13 માર્ચે સ્થાયી સમિતિની 64મી બેઠક મહત્વની સાબિત થવાની છે. આ બેઠકમાં કુલ 38 જેટલા વિવિધ લોકહિતના અને વહીવટી કામો પર મંજૂરીની મહોર મારવામાં આવશે. આ બેઠકમાં સૌથી વધુ ચર્ચામાં રહેલા ફાયર વિભાગમાં ભરતીના વિવાદો અને નવા નિયમો અંગે પણ કમિશનર તરફથી મળેલી ભલામણો પર વિચારણા કરવામાં આવશે. આ દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ થશેઆવતીકાલે તા. 13 માર્ચના રોજ મળનારી સ્થાયી સમિતિની 64મી બેઠકમાં ફાયર ઓફિસર વર્ગ-2ની શૈક્ષણિક લાયકાત અંગે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવનાર છે. ફાયર વિભાગને વધુ આધુનિક અને કાર્યક્ષમ બનાવવા માટે મનપા દ્વારા ફાયર ઓફિસર (વર્ગ-2) ની શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે, જે અંગેની દરખાસ્ત આ સ્થાયી સમિતિમાં રજૂ થશે. અમદાવાદના જૂના વિવાદોને કારણે તેમની હાજરી પર પ્રશ્નાર્થ યથાવતબીજી તરફ ચીફ ફાયર ઓફિસર તરીકે અનિરુદ્ધ ગઢવીની નિમણૂકનો ઓર્ડર બહાર પાડવામાં આવ્યો હોવા છતાં અમદાવાદના જૂના વિવાદોને કારણે તેમની હાજરી પર પ્રશ્નાર્થ યથાવત છે. આ અગાઉ ઓમ જાડેજાની નિમણૂકમાં જે ટેક્નિકલ અવરોધો આવ્યા હતા એવી જ સ્થિતિ હાલ સર્જાઈ છે. જોકે, તંત્ર દ્વારા સબ ફાયર ઓફિસર અને સ્ટેશન ઓફિસરની ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા છેલ્લા તબક્કામાં હોવાનું જણાવાયું છે. 138 જેટલા નવા ફાયરમેન કમ ડ્રાઈવરની ભરતી માટેની પરીક્ષાનું આયોજનઉપરાંત વિભાગમાં કાર્યરત જવાનોની સુવિધા માટે પણ આ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાશે. ફાયર શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ માટે ગણવેશ તેમજ તેને સંલગ્ન ચીજવસ્તુઓની ખરીદી માટે સુપ્રીમ એન્ટરપ્રાઈઝના ટેન્ડરમાં જથ્થા વધારા અંગે કમિશનરની ભલામણ પર નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત 138 જેટલા નવા ફાયરમેન કમ ડ્રાઈવરની ભરતી માટેની પરીક્ષાનું આયોજન પણ ટૂંક સમયમાં થનાર છે.જેનાથી વિભાગનું માનવબળ બમણું થશે. 36 બગીચાઓના મેઈન્ટેનન્સની મુદ્દત વધારવા મહત્વના વિષયો એજન્ડા પર છેફાયર વિભાગ ઉપરાંત બેઠકમાં સેક્ટર-9 સરિતા ઉદ્યાન ખાતે વિન્ટર ફ્લાવર ફેસ્ટિવલ માટે એજન્સીની પસંદગી, રાયસણ ખાતે નિર્માણાધીન 26 દુકાનોની ફાળવણી અને શહેરના 36 બગીચાઓના મેઈન્ટેનન્સની મુદ્દત વધારવા જેવા મહત્વના વિષયો એજન્ડા પર છે. આ સાથે જ EV ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવા માટે અદાણી ટોટલ એનર્જીસ સાથે નેગોશિયેશન કરી કામ સોંપવાની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવશે.આમ કાલે શુક્રવારની બેઠક ગાંધીનગરના આધુનિકીકરણ અને સુરક્ષા વ્યવસ્થા માટે નિર્ણાયક સાબિત થશે.
આજે આપણે બે મુદ્દા પર વાત કરવાની છે. નમસ્કાર, 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલે સાથે મળીને ઈરાન પર હુમલા શરૂ કર્યા. તેના બરાબર દસ દિવસ પહેલાં 18 ફેબ્રુઆરીએ વ્હાઈટ હાઉસમાં હાઈલેવલ મિટિંગ ચાલી રહી હતી. તેમાં નક્કી થયું કે દસ દિવસ પછી ઈરાન પર હુમલો કરવો. હુમલો થતાં તો થઈ ગયો પણ ઈરાન નાનો પણ રાઈનો દાણો નીકળ્યો.દુનિયાની અર્થવ્યવસ્થા વીખી નાખી. ઈરાને તો ત્યાં સુધી કહ્યું કે અમેરિકાએ યુદ્ધ શરૂ કર્યું છે, ખતમ અમે કરીશું. ટ્રમ્પના જ મંત્રીઓ સ્વીકારે છે કે અમેરિકા ગફલતમાં રહી ગયું ઓવેલ ઓફિસમાં જ્યારે મિટિંગ ચાલતી હતી ત્યારે ટ્રમ્પે તેમના મંત્રીઓ અને સલાહકારો વચ્ચે વાત મૂકી કે અમેરિકા ઈઝરાયલ સાથે મળીને ઈરાન પર હુમલો કરવા વિચારી રહ્યું છે. તમે બધા અભિપ્રાય આપો. દરેકે અભિપ્રાય આપ્યા. જ્યારે એનર્જી સેક્રેટરી ક્રિસ રાઈટને પૂછવામાં આવ્યું તો તેમણે સલાહ આપી કે જૂન-2025માં અમેરિકાએ ઈરાન પર હુમલા કરીને 12 દિવસ યુદ્ધ ચલાવ્યું ત્યારે ક્રૂડ ઓઈલ માર્કેટને કોઈ અસર થઈ નહોતી. એટલે ઈરાન પર હુમલો કરીએ છીએ તો ક્રૂડ ઓઈલ માર્કેટને બહુ અસર નહિ થાય. પણ અમારી ગણતરી ઊંધી પડી. ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દેશે અને મિડલ ઈસ્ટના દેશો પર હુમલા કરશે, એ વિચાર્યું પણ નહોતું. અત્યારે દુનિયામાં ક્રૂડ ઓઈલની માર્કેટને મોટી અસર થઈ છે, તેણે અમારી ચિંતા વધારી છે. હવે સ્થિતિ એવી છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર આર્થિક કટોકટીનો સામનો કરવાના રસ્તાઓ શોધવા માટે ઝઝૂમી રહ્યું છે. આ કટોકટીના કારણે અમેરિકામાં ગેસોલિનના ભાવમાં પણ વધારો થયો છે. આ ઘટના એ પણ દર્શાવે છે કે ટ્રમ્પ અને તેમના સલાહકારોએ ઈરાનની તાકાતનો ખોટો અંદાજો લગાવ્યો હતો. યુદ્ધના 13 દિવસ પછી પણ ઈરાન ઝૂક્યું નથી 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલે મળીને ઈરાન પર હુમલા શરૂ કર્યા. અમેરિકાએ આને 'ઓપરેશન એપિક યુરી' અને ઈઝરાયલે 'ઓપરેશન લાયન્સ રોર' નામ આપ્યા. ઈરાનના 8 હજાર ઘરો તબાહ થઈ ગયા. સ્કૂલો, 18 હોસ્પિટલો, સરકારી ઓફિસો અને ઓઈલ રિફાઈનરીઓ પર હુમલા કર્યા. ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેની અને તેની ફર્સ્ટ લીડરશિપ ખતમ થઈ ગઈ. આટલું બધું થયા પછી પણ ઈરાન ગાંજ્યું જાય તેમ નથી. યુદ્ધના 13 દિવસ પછી પણ ઈરાન પરાસ્ત થયું નથી. એ બરાબરની ફાઈટ આપે છે અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરીને તેમણે દુનિયાની ઈકોનોમીનું નાક દબાવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનની બાબતમાં માર ખાઈ ગયા છે. ટ્રમ્પ નેતન્યાહૂના ગેમ પ્લાનમાં ફસાઈ ગયા ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ ચાલાક અને ક્રૂર વ્યક્તિ છે. તેમનો હેતુ એક જ હતો કે ઈરાનને પાડી દેવું. પણ ઈઝરાયલ એકલું આ કરી શકે તેમ નહોતું. કારણ કે ડિફેન્સમાં ઈરાન વધારે મજબૂત છે. એટલે તેમણે તેના મિત્ર ટ્રમ્પનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. અમેરિકાએ જ્યારે વેનેઝુએલામાં ઘૂસીને ત્યાંના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને રાતોરાત પકડી લીધા અને વેનેઝુએલા પર કબજો કરી લીધો ત્યારથી ટ્રમ્પનો કોન્ફિડન્સ સાતમા આસમાને છે. તેને એમ જ છે કે હું જ આ દુનિયાનો બાદશાહ છું. આ ઘમંડનો જ લાભ લઈને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂએ ટ્રમ્પને ચાવી ભરાવી કે આપણે સાથે મળીને ઈરાન પર હુમલો કરી દઈએ. આનાથી અમેરિકા અને ટ્રમ્પને ઈતિહાસ યાદ રાખશે. ટ્રમ્પને આટલું જ જોઈતું હતું. તરત જ નેતન્યાહૂના ગેમ પ્લાનનો ભાગ બની ગયા. જાન્યુઆરીમાં ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનો થયા ત્યારે જ ઇઝરાયલના ચાલાક નેતા બેન્જામિન નેતન્યાહૂએ નક્કી કરી લીધું હતું કે ઈરાન ભીંસમાં છે ત્યાં જ હુમલો કરી દેવો જોઈએ. નેતન્યાહૂએ ટ્રમ્પને મનાવી લીધા અને આગળ-પાછળનું કાંઈ વિચાર્યા વગર હુમલો કરી દીધો. આનાથી અમેરિકા તો અળખામણું થયું જ, હવે ઈઝરાયલ પણ દુનિયાથી એકલું પડી ગયું છે. અમેરિકામાં ય મોંઘવારી વધી, ટ્રમ્પ સરકારને રેલો આવ્યો ઈરાનના યુદ્ધને ખતમ કરવું એ હવે ટ્રમ્પની મજબૂરી છે. અમેરિકાના અખબારોમાં રિપોર્ટ છે કે ટ્રમ્પના સલાહકારો પણ હવે ટ્રમ્પને કહી રહ્યા છે કે યુદ્ધમાંથી બહાર આવો. અત્યારે યુદ્ધ રોકવા ટ્રમ્પ પર પ્રેશર ઘણું છે. પહેલું કારણ છે ઓઈલના ભડકે બળતા ભાવ. આની અસર અમેરિકા પર પણ પડી છે. અમેરિકાના મોટા ભાગના લોકો યુદ્ધની વિરૂદ્ધમાં હતા, છતાં ટ્રમ્પે યુદ્ધ કર્યું એટલે તેની લોકપ્રિયતાનો ગ્રાફ ડાઉન થયો છે. અત્યાર સુધીમાં અમેરિકાના સાત સૈનિકો માર્યા ગયા છે. 1 લાખ કરોડ ડોલરનો ખર્ચ થઈ ચૂક્યો છે. જો આવું જ ચાલતું રહેશે તો અમેરિકાના મિડટર્મ ઈલેક્શનમાં ટ્રમ્પને નુકસાન થઈ શકે છે. નવેમ્બર મહિનામાં અમેરિકામાં મિડટર્મ ઈલેક્શન છે. હવે ક્રૂડ ઓઈલના ભાવ વધતાં ટ્રમ્પ સરકારને રેલો આવ્યો છે. કારણ કે ઓઈલના ભાવ વધારા માટે આખી દુનિયા ટ્રમ્પ પર જ દાજ કાઢી રહી છે. ઈરાને કહી દીધું- અમેરિકાએ યુદ્ધ શરૂ કર્યું, ખતમ અમે કરીશું અગાઉ ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન સાથેનું યુદ્ધ 4-5 અઠવાડિયાં ચાલી શકે છે. પછી એવું કહ્યું કે ઈરાન સાથેનું યુદ્ધ જલ્દી ખતમ થશે. આવું તો એમણે બબ્બેવાર કહ્યું છે. પણ ટ્રમ્પનું 'જલ્દી' એટલે કેટલું? બે દિવસ, બે સપ્તાહ કે બે મહિના...? એ નક્કી નથી. જોકે ટ્રમ્પ હવે યુદ્ધ પૂરું કરવાના મૂડમાં છે પણ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) કહે છે કે, યુદ્ધ ક્યારે પૂરું થશે તે હવે અમે નક્કી કરીશું. ટ્રમ્પે યુદ્ધ શરૂ કર્યું છે, ખતમ અમે કરીશું. ઈરાને તો કહી દીધું છે કે જ્યાં સુધી ઈઝરાયલ અને અમેરિકાના હુમલા થતા રહેશે ત્યાં સુધી અમારા કાઉન્ટરએટેક ચાલુ રહેશે. ઈરાન મિસાઈલ અને ડ્રોન્સથી હુમલા કરી-કરીને રણનીતિક રીતે અમેરિકાને થકાવવા માગે છે. બીજું, ઈરાને UAE, સાઉદી, કતાર, કુવૈત, ઓમાન જેવા ગલ્ફ દેશો પર હુમલા ચાલુ રાખ્યા છે. ઈરાન આનાથી એ સાબિત કરવા માગે છે કે અમેરિકાના આ સાથી દેશો જ ટ્રમ્પને વિનંતી કરશે કે હવે ઈરાન સામેનું યુદ્ધ બંધ કરો. ટ્રમ્પ અને હેગસેથના નિવેદનોમાં ફેર ઈરાને મિડલ ઈસ્ટના દેશો પર હુમલા કરીને બાજી પલટી નાખી છે. અમેરિકી લશ્કરી મિલટરી બેઝ, મિડલ ઈસ્ટના ઘણા આરબ દેશોના શહેરો અને ઇઝરાયલમાં વસ્તીવાળા વિસ્તારો પર મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા છે. આ હુમલાઓના કારણે અમેરિકી અધિકારીઓને રણનીતિ બદલવાની ફરજ પડી. અમેરિકાએ તાત્કાલિક ઘણા પ્લાન બદલ્યા, કેટલાક સ્થળોએ દૂતાવાસો ખાલી કરાવ્યા અને ઓઈલના વધતા ભાવોને કંટ્રોલ કરવા માટે નવી નીતિઓ લાગુ કરી. જગત જમાદાર અમેરિકાને પોતાની જગત જમાદારી ટકાવી રાખવી છે એટલે રઘવાયું બન્યું છે. ટ્રમ્પ ઘણીવાર ખૂબ જ મોટા ટાર્ગેટની વાત કરે છે. તે એવું કહેતા આવ્યા છે કે ઈરાનમાં સુપ્રીમ લીડર કોણ આવશે, તે અમેરિકા નક્કી કરશે. પણ ઈરાને પોતાના સુપ્રીમ લીડર મોજતબા ખામેનીને નક્કી કરી નાખ્યા. ટ્રમ્પ વારંવાર ઈરાનના સુપ્રીમ લીડરની વાત કરે છે પણ વિદેશમંત્રી માર્કો રુબિયો અને ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથ આવી વાતો કરતા નથી. પીટ હેગસેથે બે દિવસ પહેલાં એમ પણ કહ્યું હતું કે અમેરિકાએ ઈરાકમાં પહેલેથી જ નુકસાન સહન કર્યું છે અને ઈરાનમાં નુકસાન સહન નહીં કરે. અમેરિકાનો સાચો હેતુ એ છે કે ઈરાનની મિસાઈલ શક્તિ અને મિલિટરી શક્તિને નબળી પાડવી. જો આ હેતુ પાર પડે તો યુદ્ધનો અંત આવે. હેગસેથે સ્વીકાર્યું કે અમને અંદાજો નહોતો કે ઈરાન બદલો લેવા આટલી મજબૂત રીતે હુમલા કરશે. ઓઈલના ભાવ વધતાં અમેરિકા પર પ્રેશર વધ્યું; 100 પાદરીઓને બોલાવીને પ્રેયર કરાવી ઓઈલના વધતા ભાવે અમેરિકામાં સત્તાધારી પાર્ટી રિપબ્લિકન નેતાઓની ચિંતા વધારી છે. તેમને ડર છે કે આ મિડટર્મ ચૂંટણીઓ પહેલા મતદારો સાથેની તેમની આર્થિક નીતિઓને નુકસાન પહોંચાડી શકે છે. અમેરિકામાં મિડટર્મ ચૂંટણીઓ નવેમ્બરમાં યોજાવાની છે. ટ્રમ્પ જાહેરમાં અને ખાનગી રીતે પણ કહી રહ્યા છે કે વેનેઝુએલા ઓઈલ કટોકટીનો સામનો કરવામાં મદદ કરી શકે છે. મંગળવારે ટ્રમ્પ સરકારે ટેક્સાસમાં એક નવી રિફાઇનરી શરૂ જાહેરાત કરી, જે રિલાયન્સ સાથે મળીને બનાવશે. આ ઓઈલ પુરવઠો વધારવામાં અને ઈરાનના ઓઈલ માર્કેટની અસરને ઘટાડવામાં મદદ કરી શકે છે. ટ્રમ્પને કોમ્ફિડન્સ હતો કે યુદ્ધથી ઓઈલ સપ્લાયમાં કોઈ અસર નહિ થાય પણ ટ્રમ્પનું ગણિત ઊંધું પડ્યું. એટલે તેમણે વ્હાઈટ હાઉસની ઓવેલ ઓફિસમાં 100 જેટલા પાદરીઓને બોલાવીને પ્રેયર કરાવી. નિષ્ણાતો માને છે કે અમેરિકા યુદ્ધનો અંત લાવવાનો રસ્તા શોધી રહ્યું છે. અમેરિકા પોતે ઈચ્છે છે કે હવે યુદ્ધ પૂરું થાય પણ હવે ઈરાન આડું ફાટ્યું છે. હવે વાત ઈરાનના નાનકડા ખાર્ગ ટાપુની, અહીંથી ચાલે છે દુનિયાની ઈકોનોમી... યુદ્ધ વચ્ચે ચર્ચા ઈરાનના એક ટાપુની છે. આ ટાપુનું નામ ખાર્ગ આઈલેન્ડ. ઈરાન પર ધૂંઆધાર હુમલા થયા પણ અમેરિકા આ ટાપુને અડ્યું પણ નથી. ફારસની ખાડીમાં આવેલો આ ટાપુ ઈરાનની ઈકોનોમીની ધોરી નસ છે. જો આના પર હુમલો થાય છે તો ઈરાન સંપૂર્ણ રીતે તબાહ થઈ જશે. છતાં અમેરિકા આ ટાપુ તરફ જોતું પણ નથી. એનું કારણ શું? કારણ એ જ છે કે જો આ ટાપુ પર અમેરિકા હુમલો કરે તો ત્રીજું વિશ્વયુદ્ધ છેડાઈ જાય. ખાર્ગ આઈલેન્ડનું મહત્વ શું છે? ખાર્ગ આઈલેન્ડ ઈરાનના સમુદ્ર કિનારાથી 25 કિલોમીટર દૂર દરિયાની વચ્ચે નાનકડો ટાપુ છે. આ ટાપુ ઈરાનના ક્રૂડ ઓઈલનું એક્સપોર્ટ ટર્મિનલ છે. ઈરાન આખી દુનિયાને ઓઈલ પૂરું પાડે છે. તેના 90% ઓઈલની નિકાસ આ ખાર્ગ આઈલેન્ડથી જ થાય છે. યુદ્ધના કારણે આ ટાપુ અત્યારે ચર્ચામાં છે પણ ઈરાનના આ ઓઈલ એક્સપોર્ટ ટર્મિનલની શરૂઆત 1960ના દાયકામાં થઈ હતી. જાણીને નવાઈ લાગશે કે આ ટર્મિનલને એક્ટિવ કરવામાં અમેરિકન કંપની એમોકોએ જ ઈરાનની મદદ કરી હતી. આ આઈલેન્ડની કેપેસિટી એટલી જોરદાર છે કે આ આઈલેન્ડ પરથી 70 લાખ બેરલ ઓઈલ શિપમાં લોડ કરવામાં આવે છે. દક્ષિણ ઈરાનમાં જેટલા પણ ઓઈલના કૂવા છે તે અંડર ગ્રાઉન્ડ પાઈપ લાઈનથી સીધા આ આઈલેન્ડ સાથે જોડાયેલા છે. ખાર્ગ આઈલેન્ડ પર અમેરિકાએ હુમલો કેમ નથી કર્યો? અમેરિકા એવા દાવા કરે છે કે અમે ઈરાનને તબાહ કરી નાખ્યું. તેના સુપ્રીમ લીડર અલી ખામેનીને મારી નાખ્યા. આટઆટલું થયું પણ ખાર્ગ ટાપુને ઉની આંચ પણ આવી નથી. સેટેલાઈટ તસવીરોમાં પણ જોઈ શકાય છે કે અહીંથી ઓઈલ સપ્લાય બેરોકટોક ચાલી રહી છે. આના સૌથી મોટા બે કારણો છે. અમેરિકાનો પ્લાન છે કે કમાન્ડો મોકલીને ટાપુ પર કબજો કરવો આ ટાપુની કહાની બીજી બાજુ તો વધારે ચોંકાવનારી છે. અમેરિકા ટાપુ પર બોમ્બમારો નથી કરતું તો શું ખાર્ગ ટાપુને આમ જ છોડી દેશે? ના. વાત એમ છે કે વ્હાઈટ હાઉસ એવી તૈયારી કરી રહ્યું છે કે ખાર્ગ આઈલેન્ડ પર અમેરિકા હવાઈ હુમલા નહિ કરે પણ તેના બદલે અમેરિકી સૈનિકોને ટાપુ પર મોકલીને કબજો કરવાનો પ્લાન છે. આનો હેતુ માત્ર ઓઈલ પર કબજો કરવાનો જ નથી પણ બહુ મોટું ન્યૂક્લિયર કનેક્શન પણ છે. ન્યૂઝ એજન્સીઓના રિપોર્ટસ એવું કહે છે કે ઈરાન પાસે અત્યારે 450 કિલો યુરેનિયમ છે જેમાંથી 60% તો ઉપયોગમાં લેવાઈ ગયું છે. જો ઈરાન 90% સુધી ઉપયોગમાં લેવાઈ જાય તો ઈરાન 11 ન્યુક્લિયર બોમ્બ બનાવી શકે છે. મોટાભાગનું યુરેનિયમ આ ટાપુ પર સંગ્રહાયેલું છે. અમેરિકાનું માનવું છે કે જો તે ખાર્ગ આઈલેન્ડ પર કબજો કરી લે છે તો ઈરાનની આર્થિક કમરને ભાંગી નાખશે અને ન્યુક્લિયર બનાવાની શક્તિ ખતમ કરી નાખશે. જોવાનું એ રહેશે કે અમેરિકાનું આ સિક્રેટ આઈલેન્ડ ઓપરેશન સફળ થશે કે પછી ત્રીજા વિશ્વયુદ્ધનું ટ્રિગર પોઈન્ટ બની જશે. છેલ્લે, 1988માં ઈરાન-ઈરાક યુદ્ધ ચાલતું હતું ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયનને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. એ ઈન્ટરવ્યૂમાં તેમણે એવું કહ્યું હતું કે, ઈરાકની જગ્યાએ હું હોત તો ઈરાન પર હુમલો કરીને ખાર્ગ ટાપુ પર કબજો કરી લેત. ટૂંકમાં, ખાર્ગ આઈલેન્ડ પર કબજો કરવાની ટ્રમ્પની મનશા 40 વર્ષ પહેલાં પણ હતી. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચ : યશપાલ બક્ષી)
ગોધરાની સરકારી ઇજનેરી કોલેજ ખાતે પ્લેસમેન્ટ ફેર 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓને રોજગારની તકો પૂરી પાડવા આવા ફેરોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પંચમહાલ અને મહીસાગર જિલ્લાની વિવિધ કોલેજોના 400થી વધુ વિદ્યાર્થીઓએ આ ફેરમાં ભાગ લીધો હતો. પંચમહાલ સહિત અન્ય જિલ્લાઓમાંથી 25થી વધુ મલ્ટીનેશનલ કંપનીઓના પ્રતિનિધિઓ નોકરીદાતા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કંપનીઓ દ્વારા વિવિધ ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોતાની લાયકાત અને કૌશલ્યના આધારે કંપનીઓ સમક્ષ પ્રેઝન્ટેશન આપી ઇન્ટરવ્યૂ આપ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયા બાદ રોજગાર માટે યોગ્ય માર્ગદર્શન અને તકો ઉપલબ્ધ કરાવવાનો હતો. વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ આ પ્લેસમેન્ટ ફેરમાં ભાગ લઈને પોતાની કારકિર્દી માટે મહત્વપૂર્ણ તકનો લાભ લીધો હતો.
નવસારી જિલ્લામાં હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. 8 માર્ચના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. 115નો વધારો થયા બાદ ગેસના પુરવઠામાં અચાનક અછત સર્જાઈ છે. આ કારણે અનેક હોટલો પાસે માત્ર એક દિવસ ચાલે તેટલો જ ગેસનો જથ્થો બાકી છે, જેનાથી વેપારીઓની હાલત કફોડી બની છે. નવસારી હોટલ એસોસિએશનના જણાવ્યા અનુસાર, જિલ્લામાં આશરે 200 મોટી અને 800 થી 900 નાની ખાણીપીણીની દુકાનો કાર્યરત છે. આ ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 10,000 પરિવારો જોડાયેલા છે. જો ગેસનો પુરવઠો તાત્કાલિક શરૂ નહીં થાય, તો વેઈટર, કારીગરો અને મજૂર વર્ગ સહિત આશરે 25,000 લોકો બેરોજગાર થવાનું જોખમ છે. 9 માર્ચથી કોઈપણ કારણ દર્શાવ્યા વિના કોમર્શિયલ ગેસનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે સપ્લાય ચેઈન સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. ધંધા બંધ રહેવા છતાં કારીગરોનો પગાર અને નિભાવ ખર્ચ સંચાલકો માટે કોરોના કાળ જેવો આર્થિક બોજ બની ગયો છે. હોટલ ઉદ્યોગ ઠપ થવાથી તેની સીધી અસર શાકભાજી વિક્રેતાઓ, દૂધ ઉત્પાદકો અને અન્ય સપ્લાયર્સ જેવા સંબંધિત વ્યવસાયો પર પણ પડી રહી છે. નવસારી હોટલ એસોસિએશનના પ્રમુખ સુરેશ પાંડેએ જણાવ્યું હતું કે, અમારી પાસે ગેસનો સ્ટોક આજે પૂરો થઈ જશે. જો આવતીકાલ સુધીમાં નવો જથ્થો નહીં મળે તો અમારે એકમો બંધ કરવા પડશે. તેમણે ઉમેર્યું કે, કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે અને તેમણે રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાના એસોસિએશન દ્વારા પણ રજૂઆત કરવા સૂચન કર્યું છે જેથી પ્રશ્નનો વહેલો ઉકેલ આવી શકે. સ્થાનિક વેપારી મંડળ અને હોટલ સંચાલકોએ નવસારી જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર સુપરત કર્યું છે. તેમની મુખ્ય માંગ છે કે, સરકાર ગેસના વિતરણમાં સર્જાયેલી આ અછત અંગે તાત્કાલિક સ્પષ્ટતા કરે અને નિયમિત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે વ્યવસ્થા ગોઠવે, જેથી હજારો પરિવારોની આજીવિકા બચાવી શકાય.
ભરૂચમાં 14 માર્ચે CM વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ કરશે:કલેક્ટર ગૌરાંગ મકવાણાએ તૈયારીઓની સમીક્ષા કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભરૂચ જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમ 14 માર્ચ, 2026ના રોજ ભરૂચ શહેરના ઝાડેશ્વર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાશે. જિલ્લા પ્રશાસન દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ કાર્યક્રમના આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન કલેક્ટરે વિવિધ વિભાગોના અધિકારીઓને સોંપાયેલી જવાબદારીઓ સમયસર અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા સૂચના આપી હતી. બેઠકમાં કાર્યક્રમ સ્થળે જરૂરી તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરવા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સંકલન સમિતિ, સ્ટેજ વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક મેનેજમેન્ટ અને પાર્કિંગ વ્યવસ્થાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મહેમાનો અને નાગરિકો માટે બેઠક વ્યવસ્થા, વીજ પુરવઠો, આરોગ્ય સેવાઓ, પીવાના પાણીની સુવિધા, સ્વચ્છતા અને ફાયર સેફ્ટી જેવી બાબતો પર વિશેષ ધ્યાન આપવા સૂચનાઓ અપાઈ હતી. કલેક્ટર ગૌરાંગ મકવાણાએ અધિકારીઓને જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં નાગરિકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની શક્યતા છે. તેથી, તમામ વ્યવસ્થાઓ પૂર્વ આયોજન સાથે સુનિશ્ચિત કરી કામગીરી હાથ ધરવામાં આવે. સુરક્ષા અને નાગરિકોની સુવિધા બંનેને પ્રાથમિકતા આપીને કાર્યક્રમનું સફળ આયોજન થાય તે માટે તંત્ર સજ્જ રહેવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ, પ્રાંત અધિકારી મનીષા મનાણી, જિલ્લા પુરવઠા અધિકારી અને વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધને પગલે વૈશ્વિક સ્તરે શરૂ થયેલી ઉર્જા કટોકટીની સીધી અસર હવે સંઘપ્રદેશ દમણમાં પણ જોવા મળી રહી છે. અહીં કોમર્શિયલ ગેસ સિલિન્ડરોની અછત સર્જાતા નાના દુકાનદારો અને નાસ્તાના વેપારીઓ પરંપરાગત ચૂલા પર નાસ્તો બનાવવા મજબૂર બન્યા છે. દમણમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરોની લે-વેચ અચાનક બંધ થઈ ગઈ છે. આના કારણે સ્થાનિક નાના દુકાનદારો અને નાસ્તાના વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે, જેના પરિણામે તેઓ ફરજિયાતપણે પરંપરાગત રસોઈ પદ્ધતિઓ અપનાવવા તરફ વળ્યા છે. ગેસના અભાવે, આ નાના દુકાનધારકોએ હવે ઈંધણના વૈકલ્પિક સ્ત્રોતોનો ઉપયોગ શરૂ કર્યો છે. દમણના કેટલાક વિસ્તારોમાં નાસ્તાની દુકાન ચલાવતા વેપારીઓએ તેમના આધુનિક ગેસ સ્ટવને બાજુ પર મૂકીને પોતાની દુકાનમાં ઈંટો અને લાકડા ગોઠવી દેશી ચૂલા બનાવ્યા છે. તેઓ આ ચૂલા પર સમોસા અને અન્ય નાસ્તો બનાવતા નજરે પડી રહ્યા છે. આ પરિસ્થિતિ ભલે કટોકટીમાંથી ઉદ્ભવી હોય, પરંતુ તેના કારણે સ્થાનિક ગ્રાહકોને ફરી એકવાર પરંપરાગત રીતે લાકડાના ચૂલા પર બનેલા ગરમાગરમ સમોસા અને વડાપાંવનો એ જૂનો, સોડમભર્યો અને અસલ દેશી સ્વાદ ચાખવા મળી રહ્યો છે.
ગાંધીનગર સ્થિત સર્વ વિદ્યાલય કેલવણી મંડળ સંચાલિત ઉમા આર્ટ્સ અને નાથીબા કોમર્સ મહિલા કોલેજ તથા CAWACH કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે સાયબર ક્રાઇમ અવેરનેસ વિષય પર પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવાનો હતો. કોલેજના પ્રિન્સિપાલ ડો. લલિતકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ આ પ્રવૃત્તિ યોજાઈ હતી. આ પ્રવૃત્તિ દ્વારા ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો સુરક્ષિત અને જવાબદાર ઉપયોગ કરવાની સમજ વિકસાવવાનો પ્રયાસ કરાયો હતો. ઉપરાંત, ઓનલાઇન છેતરપિંડી, સાયબર બુલિંગ અને અન્ય સાયબર ગુનાઓથી બચવા અંગેની વિસ્તૃત માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી. સ્પર્ધામાં રજૂ થયેલા પોસ્ટરોનું મૂલ્યાંકન ગુજરાત યુનિવર્સિટીના સાયબર સિક્યોરિટી અને ડિજિટલ ફોરેન્સિક વિભાગના પ્રો. કશ્યપ જોશી અને GLS યુનિવર્સિટી, અમદાવાદના ફેકલ્ટી ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન્સ અને આઈટી (પીજી)ના પ્રો. જતિન મોઢ દ્વારા કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં. પ્રીયાન્શીબા જાડેજાએ પ્રથમ સ્થાન મેળવી ₹500નો રોકડ પુરસ્કાર જીત્યો હતો. દ્વિતીય ક્રમે દેવ્યનીબા રહેવરને ₹300 અને તૃતીય ક્રમે દિયા નાડોદાને ₹200નો રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
રાજકોટમાં બાંધકામના ધંધાર્થીએ ગોલ્ડ ટ્રેડિંગમાં ઉંચા પ્રોફિટની લાલચમાં આવી 39.22 લાખ ગુમાવ્યા છે. યુવાને ફેસબુકમાં આવેલ યુવતીની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકાર્યા બાદ આરોહી અગ્રવાલ નામની ફેસબુક આઇ.ડી. ધારકે ગોલ્ડ ટ્રેડીંગમાં ઊંચા પ્રોફિટની વાત કરી હતી અને પોતાનો વોટ્સએપ નંબર યુવાનને આપ્યો હતો. જોકે, લિંક ઓપન કરતા જ ફેક વેબસાઈટ ખૂલી હતી અને ટ્રેડિંગમાં રૂપિયા રોક્યા હતા. જોકે, તે બાદ પૈસા ગુમાવતા યુવાને સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં FIR નોંધાવી છે. આરોહી અગ્રવાલ નામની આઇડી ધારકે પોતાના વોટ્સએપ નંબર આપી વાતચીત ચાલુ કરીઆ બનાવ અંગે કોઠારીયા વિસ્તારમાં રહેતાં 45 વર્ષીય વિજય દોમડિયાએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે આરોહી અગ્રવાલ નામની ફેસબુક આઈ.ડી. ધારક તેમજ અલગ-અલગ વોટ્સએપ નંબર અને અલગ-અલગ બેંક એકાઉન્ટ ધારકનું નામ આપ્યુ હતુ. ફરિયાદીની ફેસબુક આઇડી પર મે 2025માં એક આરોહી અગ્રવાલ નામની ફેસબુક આઇડી પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. જે ફ્રેન્ડ રિક્વેસ્ટ બાંધકામના ધંધાર્થીએ એક્સેપ્ટ કરી હતી. જે બાદ બંનેએ વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. જે દરમિયાન આરોહી અગ્રવાલ નામની આઇડી ધારકે પોતાના વોટ્સએપ નંબર આપી તેમાં વાતચીત ચાલુ કરી હતી. ગોલ્ડ ટ્રેડિંગમાં ઊંચો પ્રોફિટ મળે છે એવી લાલચ આપી જે પછી ફરિયાદીને વિશ્વાસમાં લઈ ગોલ્ડ ટ્રેડિંગમાં ઊંચો પ્રોફિટ મળે છે એવી લાલચ આપી હતી. જેથી, ફરિયાદી વિશ્વાસમાં આવી જતાં ફેસબુક આઈડી ધારકે તેમને વોટ્સએપમાં લિંક મોકલી તેમાં જોડાવવા માટે કહ્યું હતું. જેથી, ફરિયાદીએ તે લિંક ઓપન કરી અને વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતાં. જેમા લિંક ઓપન કરતા એક વેબસાઈટ જોવા મળતી અને તેમાં ગોલ્ડ પર ટ્રેડીંગ થતું હોય તેના ભાવ બતાવવામાં આવતાં હતા. સાયબર ગઠિયાઓ સામે 39.22 લાખની ફ્રોડની ફરિયાદજેથી તેઓએ રોકાણ કરવાની શરૂઆત કરી હતી. ત્યારે વેબસાઈટમાં તેઓએ કરેલ રોકાણમાં ઊંચું પ્રોફિટ મળી રહ્યું છે તેવું દર્શાવવામાં આવતું હતું. જેથી તેઓ વધું રૂપીયા રોકાણ કરવાં લાગ્યાં હતાં અને તેઓએ ગોલ્ડ ટ્રેડિંગમાં કુલ રૂ.39.22 લાખનું રોકાણ કર્યું હતું. જે બાદ તેઓએ વળતર માટે વાત કરતાં અલગ-અલગ ચાર્જ ચૂકવવા પડશે તેમ સામેવાળા તરફથી મેસેજ આવતાં તેઓ સાથે ફ્રોડ થયાનું સામે આવ્યું હતું. જેથી ફેસબુક આઈડી ધારક સહિતના સાયબર ગઠિયાઓ સામે 39.22 લાખની ફ્રોડની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપનને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિઝ વિભાગમાં મોટાપાયે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ગ-1 થી વર્ગ-3 સુધીની ભરતી પ્રક્રિયા તેજ કરવામાં આવી છે જેમાં સૌથી મહત્વની ગણાતી ચીફ ફાયર ઓફિસરની જગ્યા માટે અનિરુદ્ધ ગઢવીના નામનો ઓર્ડર ઈશ્યૂ કરી દેવામાં આવ્યો છે. જોકે આ નિમણૂક સાથે જ જૂના વિવાદો ફરી સપાટી પર આવ્યા છે અને અનિરુદ્ધ ગઢવી ખરેખર ફરજ પર હાજર થશે કે કેમ તે અંગે અનેક તર્કવિતર્ક સર્જાયા છે. અનિરુદ્ધ ગઢવીની ડિગ્રીના વિવાદ બાદ મામલો કોર્ટમાં પેન્ડિંગગાંધીનગર મનપાએ અનિરુદ્ધ ગઢવીને નિમણૂક પત્ર પાઠવી દીધો છે, પરંતુ તેમની સામે ભૂતકાળમાં અમદાવાદ ફાયર વિભાગમાં થયેલી કાર્યવાહી એક મોટું વિઘ્ન માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ 2024માં અમદાવાદ મહાનગરપાલિકાએ નકલી દસ્તાવેજોના આધારે ફાયર ઓફિસરની ડિગ્રી મેળવવાના ગંભીર આરોપ હેઠળ 9 અધિકારીઓને એકસાથે બરતરફ કર્યા હતા. આ બરતરફ કરાયેલા અધિકારીઓમાં અનિરુદ્ધ ગઢવીનો પણ સમાવેશ થતો હતો. હાલમાં આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે અને કર્મચારીઓ સ્ટે ઓર્ડર પર હોવાથી ટેકનિકલ ગૂંચવણો યથાવત છે. ગાંધીનગરમાં ચીફ ફાયર ઓફિસર તરીકે હાજર થવા માટે અનિરુદ્ધ ગઢવીને તેમના હાલના વિભાગમાંથી રીલીવિંગ ઓર્ડરની અનિવાર્યતા રહેશે. કોર્ટ મેટર ચાલતી હોવાને કારણે રીલીવિંગ મેળવવું મુશ્કેલ બની શકે તેમ છે. અગાઉ પણ આ જ પદ માટે ઓમ જાડેજાની પસંદગી થઈ હતી, પરંતુ સમાન કારણોસર તેઓ હાજર થઈ શક્યા ન હતા. પરિણામે અનિરુદ્ધ ગઢવીને પણ હાલના તબક્કે કન્ડિશનલ ઓર્ડરના આધારે હાજર થવું પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. ફાયરની અન્ય જગ્યાઓ માટે પણ ભરતી પ્રક્રિયા ચાલુએક તરફ ચીફ ફાયર ઓફિસરની નિમણૂક વિવાદોમાં છે બીજી તરફ અન્ય કેડરમાં ભરતી પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે. ફાયર ઓફિસર (વર્ગ-2) ની બે જગ્યાઓ માટેની મંજૂરી અંતિમ તબક્કામાં છે. સ્ટેશન ઓફિસરની કુલ 8 જગ્યાઓ પૈકી 4 જનરલ કેટેગરીના ઉમેદવારોને નિમણૂક પત્રો આપી દેવાયા છે, જ્યારે બાકીના 4 ઉમેદવારોની જાતિ ખરાઈની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિમણૂક અપાશે. આ ઉપરાંત, સબ ફાયર ઓફિસરની 5 જગ્યાઓ માટે દસ્તાવેજ ચકાસણી ચાલુ છે. શહેરના વિસ્તરણ અને વસ્તીને ધ્યાને રાખીને ફાયર વિભાગમાં સૌથી વધુ જરૂરિયાત ધરાવતી ફાયરમેન કમ ડ્રાઈવરની 138 જગ્યાઓ માટેની જાહેરાત પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે. GPSC અને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ ભરતી પારદર્શક રીતે કરવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ નવી ભરતીઓથી આગામી સમયમાં ગાંધીનગર ફાયર વિભાગ માનવબળની દ્રષ્ટિએ વધુ સક્ષમ બનશે, જોકે ઉચ્ચ અધિકારીઓની નિમણૂક પર મંડરાતા વિવાદના વાદળો ક્યારે શમે છે તે જોવું રહ્યું.
શ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ અને એક્સિસ બેંક વચ્ચે થયેલા સમજૂતી કરાર (MoU) અંતર્ગત આજે 12.03.2026ના રોજ મંડળ રેલ પ્રબંધક કચેરી ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે બે સ્વર્ગસ્થ રેલવે કર્મચારીઓના આશ્રિત પરિવારજનોને કુલ 20 લાખની આર્થિક સહાયના ચેક એનાયત કરવામાં આવ્યા હતા. પરિવારજનોને આર્થિક ટેકોટેલિકોમ/મહેસાણાના TCM-I મોહનલાલ મીના અને અમદાવાદના લોકો પાયલોટ મહેશકુમાર લિંબાચિયાના કુદરતી અવસાન બાદ, તેમના શોકતુર પરિવારોને 10-10 લાખની સહાય રાશિ અર્પણ કરવામાં આવી હતી. મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશ અને એક્સિસ બેંકના ડિરેક્ટર ગુરવિંદરજીત સિંહ સંધુની ઉપસ્થિતિમાં આ ચેક સોંપાયા હતા. આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધકે જણાવ્યું કે, આ કરાર કર્મચારીઓના પરિવારનું ભવિષ્ય સુરક્ષિત કરવાની દિશામાં મહત્વનું પગલું છે. MoU હેઠળ મળતા વિશિષ્ટ લાભોવરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી સિદ્ધાર્થે માહિતી આપી હતી કે આ કરાર હેઠળ કર્મચારીઓને 'ઝીરો બેલેન્સ સેલેરી એકાઉન્ટ' સાથે અનેક વીમા કવચ મળે છે: અકસ્માત વીમો: મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં 100 લાખ સુધીનું કવર. કુદરતી મૃત્યુ: 60 વર્ષની વય સુધી કુદરતી અવસાન પર 10 લાખનું ટર્મ લાઇફ કવર. શિક્ષણ સહાય: અકસ્માતના કિસ્સામાં બાળકોના અભ્યાસ માટે 8 લાખ સુધીની મદદ. અપંગતા લાભ: આંશિક અપંગતામાં મૂળ વીમાના 75% સુધીનો લાભ.
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3માં આવેલા યાગરાજનગર સહિતના વિસ્તારોમાં વર્ષોથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. આ મુદ્દે આજે આમ આદમી પાર્ટીએ સ્થાનિકોને સાથે રાખી મનપા કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી. 'આપ' શહેર પ્રમુખ દિનેશ જોશીએ જણાવ્યું હતું કે, વોર્ડ-3ની યાગરાજનગર સોસાયટીમાં છેલ્લા 7 થી 8 વર્ષથી લોકો વસવાટ કરે છે અને નિયમિત વેરો ભરે છે, તેમ છતાં અહીં રોડ-રસ્તા, ગટર, પાણી કે સ્ટ્રીટ લાઈટ જેવી પાયાની સુવિધાઓ શૂન્ય છે. જો વેરા ભર્યા છતાં પણ સુવિધાઓ ન મળતી હોય તો શું તેઓ પાકિસ્તાનમાં રહે છે? અત્યાર સુધીમાં આ પ્રશ્નો અંગે કુલ 36 વાર લેખિત રજૂઆતો કરવામાં આવી છે, છતાં તંત્ર નિદ્રાધીન છે. ભાજપના નેતાઓના પ્લોટ જ્યાં આવેલા છે ત્યાં મકાનો ન હોવા છતાં પાકા રોડ બનાવી દેવાયા છે, જ્યારે સામાન્ય નાગરિકોના વિસ્તારમાં ગટરના પાણી ઉભરાય છે અને પીવાનું પાણી પણ પૂરતું મળતું નથી. રિંગ રોડથી અડધો કિલોમીટરના અંતરે આવેલી સોસાયટીમાં સ્ટ્રીટ લાઈટ અને આંગણવાડીની પણ વ્યવસ્થા નથી. ત્યારે અહીં વહેલી તકે કામ શરૂ કરવા માટેની માંગ કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં એક્સ-રે ફિલ્મનો સ્ટોક ખૂટી પડતા દર્દીઓ પરેશાન, 3 કલાક સુધી મશીનો ઠપ્પ રહ્યા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલમાં એક્સ-રે ફિલ્મોનો સ્ટોક અચાનક ખાલી થઈ જતાં ગઈકાલે બપોર પછી 3 કલાક સુધી એક્સ-રે મશીનો બંધ હાલતમાં રહ્યા હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, અહીં દરરોજ 1000 થી 1200 જેટલી એક્સ-રે ફિલ્મની જરૂરિયાત રહે છે. આમ છતાં, ખરીદી પ્રક્રિયામાં થયેલી ગરબડ કે આયોજનના અભાવે આ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. એક્સ-રે સુવિધા બંધ થવાને કારણે અકસ્માત અને અન્ય ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓને કલાકો સુધી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટનાને પગલે દર્દીઓના સગાંઓએ હોસ્પિટલ પરિસરમાં ભારે હોબાળો મચાવ્યો હતો. ટ્રોમા સેન્ટરના DR રૂમમાં પણ ફિલ્મો ઉપલબ્ધ નહોતી, જ્યારે જનાના હોસ્પિટલના એક્સ-રે મશીનો નાની ક્ષમતાના હોવાથી ત્યાં હાડકાં કે મગજના એક્સ-રે લઈ શકાતા નથી. આ ટેકનિકલ મર્યાદાને કારણે નાના બાળકોને પણ મુખ્ય સિવિલ હોસ્પિટલમાં લાવવા પડ્યા હતા, જ્યાં મશીનો બંધ હોવાથી વાલીઓની હાલત કફોડી બની હતી. જોકે લોકોનો આક્રોશ વધતા ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા અને તાત્કાલિક અસરથી એક્સ-રે ફિલ્મનો જથ્થો મંગાવી કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી. બપોર બાદ સેવાઓ પૂર્વવત થઈ હતી. રાજકોટ મનપામાં દિવ્યાંગો માટે ખાસ ભરતી થશે, 41 જગ્યાઓ માટે 23 માર્ચ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે અમદાવાદ મહાનગરપાલિકાની રાહ પર હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ દિવ્યાંગ વ્યક્તિઓ માટે ખાસ ભરતી ઝુંબેશની જાહેરાત કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત મેડિકલ ઓફિસરથી માંડીને મદદનીશ પર્યાવરણ ઇજનેર સુધીના વિવિધ સંવર્ગોમાં કુલ 41 જગ્યાઓ પર દિવ્યાંગ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયામાં અંધત્વ અને ઓછી દ્રષ્ટિ ધરાવતા ઉમેદવારો માટે 14 જગ્યાઓ, બધિર અને ઓછું સાંભળનારા માટે 15 જગ્યાઓ, હલનચલનની દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ માટે 3 જગ્યાઓ અને એક કરતાં વધુ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે 9 જગ્યા ફાળવવામાં આવી છે. લાયક ઉમેદવારો આગામી તા. 23 માર્ચ સુધીમાં ઓનલાઇન માધ્યમથી પોતાની અરજી નોંધાવી શકશે. આ ભરતીમાં જુદા જુદા વિભાગો મુજબ જગ્યાઓની વહેંચણી કરવામાં આવી છે, જેમાં જુનિયર ક્લાર્કની સૌથી વધુ 12 જગ્યાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સેનેટરી ઇન્સ્પેક્ટરની 4, આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ)ની 3, ફિલ્ડ વર્કરની 4, લાઇનમેનની 2 અને એન્ક્રોચમેન્ટ રિમુવલ ઇન્સ્પેક્ટરની 2 જગ્યાઓ પર ભરતી થશે. મેડિકલ ઓફિસર, આસિસ્ટન્ટ લાઇબ્રેરીયન, જુનિયર ફાર્માસિસ્ટ, એકાઉન્ટ ક્લાર્ક અને મદદનીશ પર્યાવરણ ઇજનેર જેવી ટેકનિકલ અને વહીવટી શાખાઓમાં પણ 1-1 જગ્યાઓ અનામત રાખવામાં આવી છે. આ ખાસ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગ વ્યક્તિઓને રોજગારીની સમાન તકો પૂરી પાડી તેમને આત્મનિર્ભર બનાવવાનો છે.
હિંમતનગર પાલિકાની છેલ્લી ખાસ સામાન્ય સભા યોજાઈ:મંગળવારથી વહીવટદારનું શાસન શરૂ થશે
હિંમતનગર નગરપાલિકાની છેલ્લી ખાસ સામાન્ય સભા ગુરુવારે યોજાઈ હતી. આ સભામાં 36 સદસ્યોમાંથી માત્ર 21 સદસ્યો હાજર રહ્યા હતા. સોમવારે વર્તમાન બોડીનો કાર્યકાળ પૂરો થતાં મંગળવારથી નગરપાલિકામાં વહીવટદારનું શાસન શરૂ થશે. આ સભા ડૉ. નલિનકાન્ત ગાંધી ટાઉન હોલમાં ગુરુવારે સાંજે 4.30 કલાકે પ્રમુખ વિમલ ઉપાધ્યાયની અધ્યક્ષતામાં યોજાઈ હતી. તેમાં કારોબારી અધ્યક્ષ જીનલ પટેલ, ઉપપ્રમુખ સવજીભાઈ, વર્ષાબેન સુથાર, ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી, અન્ય સદસ્યો અને વિવિધ વિભાગના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના એક સદસ્ય ગેરહાજર રહ્યા હતા. સોમવારે સાંજે પાલિકા સદન આગળ યાદગીરીનો છેલ્લો ફોટો સેશન થશે. આગામી સમયમાં હિંમતનગર રીવરફ્રન્ટ ફૂડ કોર્ટ સેક્શનમાં 350 થી 400 લોકોની સર્ક્યુલર સીટિંગ કેપેસિટી સાથે એમ્ફીથિયેટર અને સ્ટેજ ફેસિલિટી વિકસાવવામાં આવશે. હિંમતનગર હાટ માટે નિર્ધારિત શેડ એરિયાનું નવીનીકરણ કરાશે, જેથી પ્રદર્શની અને એક્ઝિબિશન માટે જગ્યાનો મહત્તમ ઉપયોગ થઈ શકે. ખાણીપીણી વિસ્તારની બાજુમાં આવેલી 6000 ફૂટની જગ્યામાં ઇવેન્ટ સેન્ટર પણ વિકસાવવામાં આવશે. બોર અને સંપ પર સોલાર પેનલ લગાવવામાં આવશે, જેનાથી વીજળી બિલમાં ઘટાડો થશે. ભોલેશ્વર મહાદેવ મંદિર સંકુલમાં આવેલા અંતિમધામના નવીનીકરણ અને આધુનિકીકરણનું પણ આયોજન કરાયું છે. વ્યવસાય વેરાના નિયમોનું સરળીકરણ પણ કરવામાં આવશે.
ગુજરાતમાં હેલ્થ કેર એટેન્ડન્ટ કોર્સ શરૂ:અરવલ્લી સહિત 12 જિલ્લામાં એકસાથે ઉદ્ઘાટન
ગુજરાતભરમાં હેલ્થ કેર એટેન્ડન્ટ સર્ટિફિકેટ કોર્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખા દ્વારા આ છ માસનો વિનામૂલ્યે કોર્સ શરૂ કરાયો છે.અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની શાખામાં પણ તેનું ઉદ્ઘાટન થયું. આ કોર્સ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ, ગુજરાત CSR ઓથોરિટી અને GSFC ના CSR સહયોગથી તથા કૌશલ્ય યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ચાલી રહ્યો છે. રાજ્યના કુલ 12 જિલ્લાઓમાં એકસાથે તા. 12 માર્ચ, 2026ના રોજ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મોડાસા ખાતેના કાર્યક્રમનું ઉદ્ઘાટન અરવલ્લી જિલ્લા આરોગ્ય અધિકારી રાજેશ પરમારના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું. આ પ્રસંગે 30 વિદ્યાર્થીઓએ કોર્સમાં પ્રવેશ મેળવી તાલીમ માટે જોડાણ કર્યું. જિલ્લા આરોગ્ય અધિકારીએ તાલીમાર્થીઓને શુભકામનાઓ પાઠવી અને આરોગ્ય ક્ષેત્રમાં સેવા આપવા પ્રેરણા આપી. રેડ ક્રોસ દ્વારા તેમનું શાલ અને બુકે અર્પણ કરી સન્માન કરાયું હતું. આ કોર્સનો મુખ્ય હેતુ યુવાનોને આરોગ્યલક્ષી કૌશલ્યમાં તાલીમ આપવાનો છે.આનાથી તેઓ સમાજને અસરકારક રીતે સેવા આપી શકશે અને ગ્રામ્ય સ્તરે આરોગ્ય વ્યવસ્થાને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને આશીર્વાદ અને પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રેડ ક્રોસ અરવલ્લીના ચેરમેન ભરતભાઈ પરમાર, સેક્રેટરી રાકેશભાઈ જોષી, કારોબારી સભ્યો જીતેન્દ્રભાઈ અમીન, કે.કે. શાહ, વનિતાબેન પટેલ, કનુભાઈ પટેલ અને સ્ટાફ ગણ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
દાહોદ હાઈવે પર ગઈકાલે પલટી ગયેલી એક ખાનગી લક્ઝરી બસમાં આજે રિપેરિંગ દરમિયાન ભીષણ આગ ફાટી નીકળી હતી. ગેસ વેલ્ડિંગ કરતી વખતે તણખલો ઉડતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જોતજોતામાં આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના દાહોદ હાઈવે પર બની હતી. ગઈકાલે એક ખાનગી ટ્રાવેલ્સની બસનું ટાયર ફાટતા ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બસ રોડ પરથી નીચે ઉતરીને પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત બાદ બસ રોડની નીચે ખાડામાં પડી હતી. આજે બસના માલિક દ્વારા ક્રેઈન અને મિકેનિક્સની મદદથી બસને રોડ પર લાવવાની અને રિપેરિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બપોરના સમયે જ્યારે બસના ટાયરો બદલવાની અને અમુક ભાગોને છૂટા પાડવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે ગેસ વેલ્ડિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન વાતાવરણમાં હવાનું જોર વધુ હોવાથી વેલ્ડિંગમાંથી નીકળેલી તણખલી બસના જ્વલનશીલ ભાગો સુધી પહોંચી ગઈ. પવનના કારણે આગે જોતજોતામાં ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી. થોડી જ વારમાં બસનો મોટાભાગનો હિસ્સો બળીને ભડથું થઈ ગયો હતો.ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ દોડી આવી હતી અને આગ બુઝાવવાના પ્રયાસો કર્યા હતા. સદનસીબે, આગ લાગી ત્યારે બસમાં કોઈ મુસાફરો ન હતા અને બસ રોડની નીચે હોવાથી અન્ય વાહનોને અસર થઈ ન હતી. આ ઘટનામાં કોઈ માનવ જાનહાનિ થઈ નથી, પરંતુ બસ માલિકને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે.
દાહોદ જિલ્લામાં ઘરેલું LPGના પુરવઠાની અછતને રોકવા માટે કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મધ્ય પૂર્વની અસ્થિર પરિસ્થિતિને કારણે LPGના પુરવઠાને સુનિશ્ચિત કરવા અને કાળાબજારી અટકાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારના સૂચન મુજબ, મધ્ય પૂર્વ ક્ષેત્રમાં બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ઘરેલું LPGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી. કલેક્ટરે તમામ સેલ્સ ઓફિસરોને હાજર રાખીને વિગતવાર સૂચનાઓ આપી હતી. કલેક્ટર યોગેશ નિરગુડેએ જણાવ્યું હતું કે, જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એક જ ગ્રાહકને બે LPG સિલિન્ડરના બુકિંગ વચ્ચે ઓછામાં ઓછા ૨૫ દિવસનો સમયગાળો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયનો કડક અમલ કરવામાં આવશે જેથી દરેકને સમયસર અને નિયમિત પુરવઠો મળી રહે. કલેક્ટરે વધુમાં ચેતવણી આપી હતી કે, LPGનો અનાધિકૃત સંગ્રહ, કાળાબજારી, નિયત ઉપયોગ સિવાય અન્ય ઉપયોગ અને નક્કી કરેલ કિંમત કરતાં વધુ ભાવ વસૂલવો એ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 તથા LPG કંટ્રોલ ઓર્ડર-2000 મુજબ કાયદાકીય ગુનો છે. આવી પ્રવૃત્તિ કરનાર વ્યક્તિ સામે રાજ્ય સરકારના સક્ષમ અધિકારીઓ દ્વારા તાત્કાલિક ફોજદારી પગલાં લેવામાં આવશે. જિલ્લા પુરવઠા અધિકારી ગૌતમ લોડલીયાએ જણાવ્યું હતું કે, તમામ ગેસ એજન્સીઓએ વિતરણ સુવ્યવસ્થિત રીતે કરવું જરૂરી છે. કોઈપણ વિસ્તારમાં અછત જણાશે તો તાત્કાલિક તપાસ કરીને કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ગેસ એજન્સીઓએ ગ્રાહકોની ફરિયાદોનું પણ ત્વરિત નિવારણ કરવું જોઈએ. બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી ગૌતમ લોડલીયા સહિત તમામ સેલ્સ ઓફિસરો હાજર રહ્યા હતા. કલેક્ટરે આ તમામ સૂચનાઓનો કડક અમલ કરવા અને જિલ્લામાં LPGની કોઈ અછત ન થાય તેની સતત મોનિટરિંગ કરવાની સૂચના આપી હતી.
ભાવનગર શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં રૂપિયાની લેતીદેતીની જૂની અદાવતને કારણે મિત્રએ મિત્ર પર તલવારથી જીવલેણ હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. સદામ શેખ નામના શખસે તેના મિત્ર રવિભાઈ પર તેમની પત્નીની હાજરીમાં જ તલવારથી હુમલો કરતા તેમને બન્ને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે નિલમબાગ પોલીસે સદામ શેખ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પૈસાની લેતીદેતીમાં બંને વચ્ચે બોલાચાલીનિલમબાગ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ કુંભારવાડા અમર સોસાયટીમાં રહેતા રવિભાઈ બાબુભાઈ ચૌહાણ (ઉ.વ.36) એ ફરિયાદ નોંધાવી હતી કે, આશરે બે વર્ષ પહેલા તેમના મિત્ર સદામભાઈ ચાંદભાઈ શેખ (રહે. ચાવડીગેટ મીર્ઝા લાઈટની બાજુમાં, ભાવનગર) સાથે પૈસાની લેતીદેતીનો વ્યવહાર હતો. તે દરમિયાન પૈસાની બાબતે બંને વચ્ચે બોલાચાલી થતા સંબંધોમાં તણાવ સર્જાયો હતો અને ત્યારબાદ આજદીન સુધી તેઓ એકબીજા સાથે બોલતા ન હતા. પત્નીની નજર સામે પતિ પર તલવારથી હુમલોગત રાત્રે રવિભાઈ પોતાની પત્ની સાથે દુકાનેથી સ્કૂટર પર ચાવડીગેટ મીર્ઝા લાઈટ પાસે આવેલી વેલ્ડિંગ રિપેરીંગની દુકાને કામસર ગયા હતા અને ત્યાં દુકાન માલિક સાથે વાતચીત કરી રહ્યા હતા. તે સમયે સદામ ચાંદભાઈ શેખ, જે દુકાનની બાજુમાં જ રહે છે, પોતાના ઘરમાંથી તલવાર લઈને આવ્યા અને રવિભાઈ પર તલવારથી હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન રવિભાઈના બન્ને હાથ પર તલવારના ઘા માર્યા હતા. પોલીસે સદામ શેખ સામે ગુનો નોંધ્યોહુમલા વખતે “મારા ઉપર ખોટો કેસ શા માટે કર્યો?” એમ કહી ધમકી આપી હતી. બાદમાં સદામ શેખ ત્યાંથી ભાગી ગયો હતો. ઈજાગ્રસ્ત રવિભાઈ પોતાની પત્ની સાથે સ્કૂટર પર સર.ટી. હોસ્પિટલ ખાતે સારવાર માટે પહોંચ્યા હતા. સારવાર લીધા બાદ તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે સદામ ચાંદભાઈ શેખ રહે. ચાવડીગેટ, ભાવનગર સામે BNS કલમ 118(1) તથા જી.પી. એક્ટ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પશ્ચિમ રેલવેએ ગેર-ભાડા આવક (NFR) ક્ષેત્રે વિશિષ્ટ સફળતા હાંસલ કરી સતત બીજા વર્ષે ભારતીય રેલવેમાં પ્રથમ ક્રમાંક જાળવી રાખ્યો છે. આ ભવ્ય સફળતામાં રાજકોટ ડિવિઝનનો સિંહફાળો રહ્યો છે. ચર્ચગેટ સ્થિત મુખ્યાલય ખાતે આયોજિત એક વિશેષ સમારંભમાં પ્રિન્સિપલ ચીફ કોમર્શિયલ મેનેજર (PCCM) તરુણ જૈન દ્વારા આ સિદ્ધિ બદલ રાજકોટ ડિવિઝનના અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. નવતર પ્રયોગો દ્વારા 4.01 કરોડની કમાણીનાણાકીય વર્ષ 2024-25 દરમિયાન રાજકોટ ડિવિઝને પોતાની સૂઝબૂઝ અને આધુનિક અભિગમથી કુલ 4.01 કરોડની ગેર-ભાડા આવક એકઠી કરી છે. વરિષ્ઠ ડિવિઝનલ વાણિજ્ય પ્રબંધક સુનીલ કુમાર મીનાના માર્ગદર્શન હેઠળ વાણિજ્ય વિભાગે અનેક નવીન પ્રોજેક્ટ્સ અમલી બનાવ્યા હતા. જેમાં પ્રથમ વખત AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત જાહેરાત પ્રણાલી, ટ્રેનની માહિતી સાથે LED ડિસ્પ્લે, ગેમ ઝોન અને વેગન સફાઈ સેવા જેવા કરારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્ટેશન બહાર પાર્કિંગ, ગુડ્સ શેડમાં કેન્ટીન અને પૂજા સામગ્રીના કિયોસ્ક દ્વારા પણ આવકના નવા સ્ત્રોત ઊભા કરવામાં આવ્યા છે. રાજકોટના આ રત્નો થયા સન્માનિતરેલવેની પ્રતિષ્ઠા વધારવા અને આવકમાં વૃદ્ધિ કરવા બદલ રાજકોટ ડિવિઝનના 4 મહાનુભાવોને એવોર્ડ એનાયત કરાયા હતા સુનીલ કુમાર મીના – વરિષ્ઠ ડિવિઝનલ વાણિજ્ય પ્રબંધક, રાજકોટ હિતેશ જોશી – સહાયક વાણિજ્ય પ્રબંધક, રાજકોટ ચંદ્રસિંહ ઝાલા – તત્કાલીન મુખ્ય વાણિજ્ય નિરીક્ષક, રાજકોટ (હાલ ACM – ચર્ચગેટ) અમિત જોશી – રિઝર્વેશન સુપરવાઈઝર, રાજકોટ આ કાર્યક્રમમાં મુખ્ય વાણિજ્ય પ્રબંધક (યાત્રી સેવાઓ) સ્વપ્નિલ વાલિંગકર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ ડિવિઝનની આ કામગીરીએ પશ્ચિમ રેલવેને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવ્યું છે.
સુરેન્દ્રનગરમાં ગેસ એજન્સીઓ પર સઘન તપાસ:કલેક્ટરના આદેશથી સંગ્રહખોરી ડામવા કાર્યવાહી શરૂ
સુરેન્દ્રનગર જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા અને સંગ્રહખોરી અટકાવવા વહીવટીતંત્ર સક્રિય બન્યું છે. જિલ્લા કલેક્ટર કે.એસ.યાજ્ઞિકના નિર્દેશથી પુરવઠા વિભાગે વિવિધ ગેસ એજન્સીઓ પર આકસ્મિક તપાસ હાથ ધરી છે. જિલ્લા પુરવઠા અધિકારી એ.જી.ગજ્જરના સંકલન હેઠળ આ ઝુંબેશ સમગ્ર જિલ્લાના તમામ તાલુકાઓમાં ચલાવવામાં આવી રહી છે. સંબંધિત તાલુકાના મામલતદારો અને ફિલ્ડ સ્ટાફની ટીમોએ ગેસ એજન્સીઓની ઓચિંતી મુલાકાત લીધી હતી. તપાસ દરમિયાન એજન્સીઓ પાસે ઉપલબ્ધ ગેસ સિલિન્ડરના જથ્થાની ભૌતિક ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, સ્ટોક રજિસ્ટર અને વિતરણ વ્યવસ્થાની પણ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ગેસ સિલિન્ડરની સંગ્રહખોરી અને કાળાબજારી અટકાવવાનો છે. તપાસમાં, ખાસ કરીને ઘરવપરાશના સિલિન્ડરનો જથ્થો નાગરિકોને પ્રાથમિકતાના ધોરણે મળી રહે તે માટે એજન્સી સંચાલકોને કડક સૂચનાઓ અપાઈ છે. દરેક એજન્સીએ નિયત સ્ટોક જાળવી નિયમ મુજબ વિતરણ કરવું અનિવાર્ય છે. તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ અનિયમિતતા જણાશે તો કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોના હિતનું રક્ષણ કરવા અને બજારમાં કૃત્રિમ અછત ન સર્જાય તે માટે વહીવટી તંત્ર સતત સતર્ક છે. આગામી દિવસોમાં પણ આવી આકસ્મિક તપાસનો દોર ચાલુ રાખવામાં આવશે.
બે વર્ષ પહેલા અન્ય ધર્મના યુવક સાથે લગ્ન કરનાર યુવતીને યુવક દ્વારા શારીરિક-માનસિક ત્રાસ અપાતા યુવતી દ્વારા બાપોદ પોલીસ સ્ટેશનમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. યુવકના મારથી યુવતીએ બૂમો પાડતા યુવકે કહ્યું હતું કે, જો હવે બૂમો પાડીશ તો તારા ટુકડા કરીને થેલામાં ભરી દઈશ. પીડિતાની ફરિયાદ બાદ બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. યુવતી અને સલમાને 2024માં કોર્ટ મેરેજ કર્યા હતાઆ ફરિયાદમાં મહિલાએ જણાવ્યું છે કે, વર્ષ 2024માં સલમાન સલીમખાન પઠાન સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યારબાદ તેઓ એકતાનગર પોલીસ ચોકીની સામે, આજવા રોડ વડોદરા ખાતે રહેતા હતા. તેણી ઘરકામ કરતી હતી અને પતિ ઓટોરિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો. વર્ષ 2025માં તેણીને ખબર પડી કે તેના પતિના અન્ય મહિલા સાથે આડાસંબંધ છે. આ વાત પર પતિને પૂછતાં તેણે ગાળો બોલીને ગળદા પાટુનો માર માર્યો હતો. ત્યારબાદ તેણી પિયરમાં ગઈ હતી. પતિના પરિવારના સભ્યોએ સમજાવતાં તેણી ફરી સાસરિયામાં ગઈ હતી. થોડા સમય સુધી વર્તન સુધર્યું હતું, પરંતુ ત્યારબાદ પતિ ફરીથી અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતો રહ્યો હતો. તેમ છતાં ઘર ન ભાંગે તેવા ઉદ્દેશથી તેણીએ સહન કર્યું હતું. 14 જાન્યુઆરી,2026 ના રોજ પતિ ઘરે ન આવતા ફોન કર્યો તો ઉપાડ્યો નહીં. ઘરે આવ્યા પછી પૂછતાં ફરી ગાળો બોલીને માર માર્યો હતો. તેણી પિયરમાં ગઈ અને માતા સાથે રહેવા લાગી હતી. બાદમાં 25 ફેબ્રુઆરી, 2026ના રોજ સાંજે દવા લેવા જતી વખતે પતિ રસ્તામાં આવીને ગાળો બોલી ધમકી આપી અને ત્રાસ આપ્યો હતો. પતિએ પત્નીને કહ્યું- 'હવે બૂમો પાડીશ તો ટુકડા કરીને થેલામાં ભરી દઈશ'મહિલા, માતા અને તેના ભાઈ સાથે રિક્ષામાં કમલાનગર ખાતે પૂજાનો સામાન લેવા જઈ રહ્યા હતા. ત્યારે પતિ સલમાન તેની રિક્ષા લઈને હોસ્પિટલ પાસે આવ્યો અને ફરિયાદીને બળજબરીથી પોતાની રિક્ષામાં બેસાડી લીધી હતી. તેને આજવા-નીમેટા રોડ ખાતે એક ખેતરમાં લઈ ગયો હતો. ત્યાં તેણે પૂછ્યું કે તારે મારી સાથે રહેવું છે કે નહીં? ફરિયાદીએ કહ્યું કે ઝઘડો ન કરો તો રહીશ. ત્યારે પતિએ ગદ્દા-પાટુથી માથા પર માર માર્યો. તેણી રડવા લાગી તો મોઢામાં રૂમાલ નાખીને ધમકી આપી કે બૂમ પાડીશ તો ટુકડા કરીને થેલામાં ભરી દઈશ અને મારી નાખીશ. ગંદી ગાળો બોલી, ગળું દબાવ્યું અને મુક્કા માર્યા હતા. બાદમાં તે ભાગીને પોતાના ભાઈને કોલ કર્યો હતો. બાદમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ મામલે બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કાળઝાળ ગરમી સામે તંત્ર સજ્જ:શહેરમાં 22 સ્થળોએ વિનામૂલ્યે ઠંડા પાણી અને ORSની વ્યવસ્થા કરવામાં આવી
હાલમાં ઉનાળાની ઋતુમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે ત્યારે નાગરિકોને હીટસ્ટ્રોક (લૂ લાગવા) અને ડી-હાઈડ્રેશન જેવી ગંભીર સમસ્યાઓથી બચાવવા માટે ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં મનપા દ્વારા આવતીકાલથી શહેરના મુખ્ય 22 વિવિધ જાહેર સ્થળો પર ઠંડા પાણી અને ORS (ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન)ના વિતરણની વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. 22 મુખ્ય સર્કલો અને ચોક પર આ વ્યવસ્થા ગોઠવવામાં આવીઆરોગ્ય વિભાગની પાસેથી મળતી માહિતી મુજબ શહેરમાં વધતી ગરમી મનુષ્યના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને રસ્તા પર અવરજવર કરતા લોકો અને શ્રમિકોને ગરમીથી સુરક્ષા મળી રહે તે હેતુથી આ સેવા શરૂ કરવામાં આવી રહી છે, જેમાં તંત્ર દ્વારા શહેરના નીચે મુજબના 22 મુખ્ય સર્કલો અને ચોક પર આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં નિલમબાગ સર્કલ, R.T.O. સર્કલ, સરદારનગર સર્કલ, ઘોઘા સર્કલ, મહિલા કોલેજ સર્કલ, શિવાજી સર્કલ, મંત્રેશ સર્કલ, સર્કલ, રામમંત્ર મંદિર સર્કલ, ભગવતી સર્કલ, કુંભારવાડા સર્કલ, બોરડી ગેટ ચોક, ગંગાજળિયા તળાવ, ખારગેટ ચોક, શિશુવિહાર સર્કલ, કાળાનાળા સર્કલ, જશોનાથ સર્કલ, લીલા સર્કલ, વિરાણી સર્કલ, દિલબહાર ESR, ક્રેસન્ટ સર્કલ તથા ચાવડી ગેટ ચોક સહિતના સ્થળો પર ઉપલબ્ધ બનશે. મનપાના મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ અને જનસંપર્ક અધિકારી દ્વારા લોકોને ગરમીમાં સાવચેત રહેવા અને જરૂર જણાયે આ સુવિધાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ખાખસર પ્રાથમિક શાળામાં ધોરણ-8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અને તેજસ્વી પ્રતિભાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શાળાની સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત રાજ્યકક્ષાની નિબંધ સ્પર્ધામાં ગુજરાતભરમાં પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર દિવ્યા પરમાર (પ્રથમ), જાનવી ચૌહાણ (દ્વિતીય) અને રશ્મિ ચૌહાણ (તૃતીય) ને મહાનુભાવોના હસ્તે ગૌરવપૂર્વક સન્માનિત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડેપ્યુટી કલેક્ટર અને એસ.ડી.એમ. કુંજલ શાહે વિદ્યાર્થીઓને સફળતા માટે કર્તવ્યનિષ્ઠાના પાઠ ભણાવ્યા હતા. અધ્યક્ષ સ્થાનેથી ખંભાત ACS કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર કનુભાઈ બારૈયાએ સાહિત્ય દ્વારા દેશસેવા માટે પ્રેરણા આપી હતી. શાળાના આચાર્ય રાકેશકુમાર સોલંકીએ ‘મુજ દ્વારેથી ઓ પંખીડા’ ગીત રજૂ કરી વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા, જે વિદાયની ઘડીને ભાવુક બનાવી હતી. ધોરણ-8ના વિદ્યાર્થીઓએ પણ પોતાની આઠ વર્ષની યાદો વાગોળતા શાળાને સુંદર ભેટ અર્પણ કરી હતી. સંગીતકાર જગદીશભાઈ ગોહેલે સંગીત રજૂ કરી વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કલ્પેશભાઈ પટેલે કર્યું હતું અને રાષ્ટ્રગાન સાથે આ સ્મૃતિમય મિલનનું સમાપન થયું હતું.
પેન્શનમાં નામની નાની ભૂલથી નહીં અટકે ચુકવણી:‘ભાઈ, કુમાર, બેન’ જેવી માનવાચક ભૂલો અવગણવાનો નિર્ણય
રાજ્યના હિસાબ અને તિજોરી નિયામક કચેરીએ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પેન્શનરોને મોટી રાહત આપી છે. પેન્શન કેસોમાં પી.પી.ઓ. (PPO) બુકમાં દર્શાવાયેલ નામ અને આધાર-પુરાવામાં દર્શાવાયેલ નામ વચ્ચે માત્ર માનવાચક શબ્દોની નાની તફાવત હોય તો તે કારણસર પેન્શન/ફેમિલી પેન્શન અટકાવવામાં નહીં આવે. અનેક કેસોમાં માત્ર માનવાચક શબ્દોની તફાવતને કારણે પેન્શન/ફેમિલી પેન્શન અટકી જતીકચેરી દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચના અનુસાર “ભાઈ”, “કુમાર”, “દાસ”, “લાલ”, “બેન” જેવા માનવાચક શબ્દોને કારણે નામમાં થતી નાના તફાવતને ધ્યાનમાં લઈ પેન્શન ચુકવણી અટકાવવી યોગ્ય નથી. જો પી.પી.ઓ.માં નોંધાયેલ વ્યક્તિ અને આધાર-પુરાવામાં દર્શાવાયેલ વ્યક્તિ એક જ હોવાની પૂરતી ખાતરી થાય તો પેન્શનની ચુકવણી નિયમ મુજબ ચાલુ રાખવાની સૂચના આપવામાં આવી છે. આ નિર્ણયનો હેતુ એ છે કે, પેન્શન કેસોમાં નામ સુધારવાની પ્રક્રિયા લાંબી અને સમયલક્ષી હોવાથી પેન્શનરોને અનાવશ્યક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. અનેક કેસોમાં માત્ર માનવાચક શબ્દોની તફાવતને કારણે પેન્શન/ફેમિલી પેન્શન અટકી જતી હતી. હવે તિજોરી કચેરીઓને સૂચના આપવામાં આવી છે કે, આવા નાના તફાવત હોય છતાં જો વ્યક્તિની ઓળખ સ્પષ્ટ થાય તો પેન્શન અને એરિયર્સની ચુકવણી નિયમ મુજબ ચાલુ રાખવામાં આવે, જેથી પેન્શનરોને વિલંબ વગર લાભ મળી શકે.
અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં આવેલા બહુચર માતાના મંદિરમાંથી ચાંદીના પતરાની ચોરીનો બનાવ સામે આવ્યો છે. મંદિરમાંથી ચોરી 57 ચાંદીના પતરાની ચોરી કરી છે. આ અંગે વાડજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પૂર્વજોની આકૃતિવાળા ચાંદીના 57 પત્ર ગાયબનવા વાડજના ડાયાભાઈની ચાલીમાં રહેતા દશરથભાઈ સોલંકી રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારના સભ્યો પણ આસપાસમાં રહે છે. દશરથભાઈએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના ઘરની સામે બહુચર માતાનું મંદિર આવેલું છે અને મંદિરની સંભાળ તેમજ પૂજા-અર્ચનાનું કામ તેઓ અને તેમના પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવે છે. ઘટનાના દિવસે દશરથભાઈ કામસર બહારગામ ગયા હતા. ત્યારે તેમના ભાઈએ રાત્રે માતાજીની આરતી કરી મંદિર બંધ કર્યું હતું. જોકે બીજા દિવસે સવારે મંદિર ખોલતા અંદરથી પૂર્વજોની આકૃતિવાળા ચાંદીના 57 પત્ર ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે દશરથભાઈ સોલંકીએ વાડજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર મહાનગરપાલિકા અને એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા ના સહયોગથી કોલવડા સ્થિત ઐતિહાસિક તળાવનું વૈજ્ઞાનિક પદ્ધતિથી પુનઃ નવિનીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આમ હવે 5.42 એકરમાં ફેલાયેલું આ તળાવ આ વિસ્તારના ભૂગર્ભ જળસ્તરને ઊંચા લાવવામાં પાયાની ભૂમિકા ભજવશે. જંગલી વનસ્પતિઓ અને કચરાના કારણે અસ્તિત્વ ગુમાવી રહ્યું હતુંગાંધીનગરમાં પર્યાવરણ જાળવણી અને જળ સંચયની દિશામાં એક પ્રશંસનીય સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. અગાઉ આ તળાવ જંગલી વનસ્પતિઓ અને કચરાના કારણે અસ્તિત્વ ગુમાવી રહ્યું હતું. નવિનીકરણ પ્રક્રિયાના ભાગરૂપે તળાવમાંથી 2 ટનથી વધુ કચરો અને નેલ્ટુમા જ્યુલીફ્લોરા જેવી નુકસાનકારક વનસ્પતિઓનો સંપૂર્ણ નિકાલ કરવામાં આવ્યો છે. તળાવના 580 મીટર લાંબા કાંઠાને ડબલ પાળા પદ્ધતિથી રક્ષિત કરી માટીનું ધોવાણ અટકાવવામાં આવ્યું છે. રહેણાંક વિસ્તારોમાં જળ રિચાર્જિંગની પ્રક્રિયા વેગવંતી બનશેઆ પ્રોજેક્ટની સૌથી મોટી સફળતા તેની સંગ્રહ ક્ષમતામાં થયેલો વધારો છે. 29,000 ઘનમીટર કાંપ કાઢવામાં આવતા તળાવની ક્ષમતા 39,000 ઘનમીટરથી વધીને હવે 69,000 ઘનમીટર થઈ છે. આ વધારાના પાણીના સંગ્રહથી આસપાસના ગ્રામ્ય અને રહેણાંક વિસ્તારોમાં જળ રિચાર્જિંગની પ્રક્રિયા વેગવંતી બનશે. આ સિવાય અહીં વન્યજીવ સંતુલન માટે પણ વિશેષ કાળજી લેવામાં આવી છે. તળાવના મધ્યમાં ત્રણ ખાસ નેસ્ટીંગ આયલેન્ડ તૈયાર કરાયા છે. આ ટાપુઓ સફેદ કાંકણસાર, લટોરો, નાની ડુબકી અને બગલા જેવા સ્થાનિક તેમજ વિદેશી પક્ષીઓ માટે સુરક્ષિત પ્રજનન અને આશ્રયસ્થાન સાબિત થશે. જાહેર કુદરતી સંપદાને માનવીય દખલગીરી અને દબાણોથી મુક્ત રાખવા માટે તળાવની 300 મીટરની પેરીફેરીમાં મજબૂત ફેન્સિંગ લગાડવામાં આવ્યું છે. આગામી ચોમાસામાં આ તળાવ સંપૂર્ણ ક્ષમતા સાથે છલકાશે ત્યારે કોલવડા અને આસપાસના વિસ્તારો માટે તે કુદરતી સૌંદર્ય અને જળ સુરક્ષાનું મુખ્ય કેન્દ્ર બની રહેશે.
અમદાવાદ શહેરના માણેકચોકના એક સોનીને સેટેલાઈટ અને ઇસનપુરના બે ઠગોએ વિશ્વાસમાં લઈને 96 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાનો છે. આરોપીઓએ 750 ગ્રામ સોનાનું બિસ્કિટ લઈ રૂપિયા ચૂકવ્યા નહોતા. આ અંગે સેટેલાઈટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પાર્થ દલવાડીએ મોટી-મોટી વાતો કરી વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો ઇસનપુરના સ્મૃતિ મંદિર નજીક આવેલા આલોક બંગલોમાં રહેતા અમિત સોની માણેકચોકમાં સોના–ચાંદીની દુકાન ચલાવી વેપાર કરે છે. લગભગ છ મહિના પહેલા તેમના ઓળખીતાં રાકેશ સોની, (રહે. ઇસનપુરના સુરભી એપાર્ટમેન્ટ)અમિત સોનીની દુકાને આવ્યા હતા. વાતચીત દરમિયાન રાકેશ સોનીએ અમિત સોનીને જણાવ્યું હતું કે, તેમના ઓળખીતાં પાર્થ હરેણ્દ્રભાઈ દલવાડી, જે સેટેલાઈટ વિસ્તારમાં ઇસરો નજીક વર્ધમાન હિલ ખાતે રહે છે. તેઓ સોના–ચાંદીમાં મોટું રોકાણ કરવા માંગે છે અને તેમની પાસે રૂપિયા છે. ત્યારબાદ રાકેશ સોની અમિત સોનીને પાર્થ દલવાડીના સેટેલાઈટ સ્થિત ઘરે લઈ ગયા હતા, જ્યાં પાર્થ દલવાડીએ મોટી-મોટી વાતો કરી વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો હતો. 750 ગ્રામ સોનાનું બિસ્કિટ ખરીદવાની વાત કરી થોડા દિવસ બાદ પાર્થ દલવાડીએ અમિત સોનીને વોટ્સએપ કોલ કરીને સોનાના ભાવ અંગે વાતચીત કરી હતી અને પહેલા 500 ગ્રામ સોનુ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેણે 750 ગ્રામ સોનાનો બિસ્કિટ ખરીદવાની વાત કરી અને સોનુ પોતાના ઘરે પહોંચાડવા જણાવ્યું હતું.અમિત સોની સાડા સાત સો ગ્રામ સોનાનો બિસ્કિટ લઈને પાર્થ દલવાડીના ઘરે પહોંચ્યા હતા અને 96 લાખ રૂપિયા માગ્યા હતા.ત્યારે પાર્થ દલવાડીએ તેમને કહ્યું હતું કે માણેકચોકની પીએમ આંગડિયા પેઢીમાંથી રૂપિયા મળી જશે અને ત્યાંથી લેવા જવા જણાવ્યું હતું પરંતુ, અમિત સોની આંગડિયા પેઢીમાં પહોંચ્યા ત્યારે તેમના નામે કોઈ રૂપિયા આવ્યા નહોતા. ત્યારબાદ પાર્થ દલવાડીએ તેમને બે–ચાર દિવસ સુધી રૂપિયા આપવા બાબતે ધક્કા ખવડાવ્યા હતા. છ મહિનાથી રૂપિયા આપવાના મુદ્દે જુદા-જુદા વાયદા કરી સમય પસાર કરાવ્યોઅમિત સોનીએ આ અંગે પોતાના ઓળખીતાં રાકેશ સોની સાથે વાતચીત કરી હતી. રાકેશ સોનીએ પણ પાર્થ દલવાડી સાથે ફોન પર વાત કર્યા બાદ રૂપિયા લેવા માટે મુંબઈ આવવાનું કહ્યું હતું. જોકે રાકેશ સોની મુંબઈ પહોંચ્યા છતાં પાર્થ દલવાડી તેમને મળ્યા નહોતા. છેલ્લા છ મહિનાથી પાર્થ દલવાડી અને રાકેશ સોનીએ રૂપિયા આપવાના મુદ્દે અમિત સોનીને જુદા-જુદા વાયદા કરી સમય પસાર કરાવ્યો હતો. અંતે કંટાળી જઈ અમિત સોનીએ સેટેલાઈટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો શંખનાદ ફૂંકાવાની તૈયારી છે. તે પહેલા જ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નેતા શંકરસિંહ વાઘેલાએ આગામી ચૂંટણીમાં કોંગ્રેસને જરુર હોય તો બિનશરતી મદદની તૈયારી બતાવતા રાજકીય ગરમાવો આવ્યો છે. સુરતની મુલાકાતે આવેલા બાપુએ કહ્યું હતું કે, ભલે તેઓ કોંગ્રેસનો ખેસ ન પહેરે, પરંતુ ભાજપને સત્તા પરથી હટાવવા માટે તેઓ કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોને મજબૂત પીઠબળ પૂરું પાડવા તૈયાર છે. શંકરસિંહ આગામી ચૂંટણીમાં 'બીજેપી વર્સીસ ઓલ'નો નવો નારોશંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, યશવંત સિંહા દ્વારા સ્થાપિત 'ગુજરાત નાગરિક પરિષદ' અને વાસુદેવભાઈ પટેલના નેતૃત્વમાં આગામી કોર્પોરેશન, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં 'ભાજપ વિરુદ્ધ તમામ' (BJP vs All) નો પ્રયોગ કરવામાં આવશે. વાઘેલાના મતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પક્ષના મેન્ડેટ કરતા સ્થાનિક પ્રશ્નો અને પ્રતિષ્ઠિત લોકો વધુ મહત્વના હોય છે. આ અભિયાન અંતર્ગત તેઓ કોંગ્રેસ અને અન્ય પક્ષોને એક મંચ પર લાવી ભાજપની વોટબેંકમાં ગાબડું પાડવાની યોજના બનાવી રહ્યા છે. કોંગ્રેસ સાથેના સંબંધો પર સ્પષ્ટતા કરતા કહ્યું- 'ખેસ નહીં પહેરું પણ સાથ આપીશ'કોંગ્રેસમાં જોડાવાની અટકળો પર પૂર્ણવિરામ મૂકતા શંકરસિંહ વાઘેલાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, મારે કોંગ્રેસમાં જોડાવું નથી કે નથી ખેસ પહેરવો. જોકે, તેમણે ઉમેર્યું હતું કે જો કોંગ્રેસને લાગે કે ભાજપને હરાવવા માટે તેમના માર્ગદર્શન કે સપોર્ટની જરૂર છે, તો તેઓ કોઈ પણ શરત વગર મદદ કરવા તૈયાર છે. આ નિવેદન દર્શાવે છે કે વાઘેલા કોંગ્રેસ માટે એક 'કિંગમેકર'ની ભૂમિકા ભજવવા ઈચ્છે છે, જેથી વિપક્ષી મતોનું વિભાજન અટકાવી શકાય. ભાજપ પર પ્રહાર: 'કોંગ્રેસ મુક્ત'ને બદલે 'કોંગ્રેસ યુક્ત' ભાજપવાઘેલાએ વર્તમાન ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ જે 'કોંગ્રેસ મુક્ત ભારત'ની વાતો કરતું હતું, તે આજે પોતે જ 'કોંગ્રેસ યુક્ત' બની ગયું છે. તેમણે કટાક્ષ કર્યો કે આજે ભાજપમાં અસલી ભાજપના કાર્યકરો શોધવા એટલા જ મુશ્કેલ છે જેટલું સુરતમાં અસલી સુરતીને શોધવું. તેમણે ભાજપને 'ભ્રષ્ટાચારી જનતા પાર્ટી' તરીકે સંબોધીને આક્ષેપ કર્યો કે જૂના અને નિષ્ઠાવાન કાર્યકરોને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે અને આયાતી નેતાઓનું વર્ચસ્વ વધ્યું છે. કોંગ્રેસ માટે વ્યૂહાત્મક તક: વાઘેલાનું માર્ગદર્શન કેટલું કામ લાગશે?કોંગ્રેસ માટે અત્યારે સૌથી મોટો પડકાર પાયાના સ્તરે સંગઠનને મજબૂત કરવાનો છે. વાઘેલાનો બહોળો અનુભવ અને ક્ષત્રિય મતો પર તેમની પકડ કોંગ્રેસ માટે ચૂંટણીમાં સંજીવની સમાન સાબિત થઈ શકે છે. વાઘેલાએ જાહેરાત કરી છે કે તેમને કોઈ ટિકિટ કે પદની લાલસા નથી, આ બાબત કોંગ્રેસના હાઈકમાન્ડ માટે સાનુકૂળ બની શકે છે. જો કોંગ્રેસ વાઘેલાના આ 'બિનશરતી' ટેકાનો યોગ્ય ઉપયોગ કરે, તો ભાજપના ગઢ ગણાતા વિસ્તારોમાં ગાબડું પાડી શકાય તેમ છે. આમ આદમી પાર્ટી પર નિશાન: 'આપ'ને ભાજપની 'બી-ટીમ' ગણાવીસ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 'આપ'ની એન્ટ્રી વિશે વાત કરતા વાઘેલાએ ગંભીર આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીનો જન્મ જ દિલ્હીમાં ભાજપના કાર્યાલયમાં કોંગ્રેસના શાસનને ખતમ કરવાના કાવતરાના ભાગરૂપે થયો હતો. તેમણે સુરતીઓને ચેતવતા કહ્યું કે પંજાબ સરકારના નાણાં અત્યારે ગુજરાતમાં ઠાલવવામાં આવી રહ્યા છે. વાઘેલાના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેઓ વિપક્ષી મતોને 'આપ' તરફ જતા રોકીને સીધા કોંગ્રેસ તરફ વાળવા માંગે છે. ચૂંટણીનો એક્શન પ્લાન: સુરત અને રાજકોટમાં બેઠકોનો દોરવાઘેલાએ અત્યાર સુધીમાં રાજકોટ અને અમદાવાદમાં મહત્વની બેઠકો કરી છે અને હવે સુરતમાં પણ તેમણે સ્થાનિક નેતાઓ અને નાગરિક પરિષદના સભ્યો સાથે ચર્ચા કરી છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સ્તરે એવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનો છે જે પક્ષબંધીથી ઉપર ઉઠીને પ્રજાના કામ કરી શકે. આ રણનીતિ જો સફળ રહે તો આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં સત્તાધારી પક્ષ ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે છે. મારે કોઈ કન્ડિશન ન હોય અને મારે એમાંથી કંઈ લેવાનું નથી.શંકર સિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે,મારો પોતાનો પક્ષ છે. આજનો નહીં, 2019 માં શરૂ કરેલો છે. એક્ટિવલી છે. એ પક્ષ ચાલે જ છે. પણ આજે થોડા દિવસ પહેલાં યશવંત સિંહા આવ્યા હતા અમદાવાદ અને એમણે એક નાગરિક પરિષદ, ગુજરાત નાગરિક પરિષદની સ્થાપના કરેલી. વાસુદેવભાઈ પટેલ જે આવ્યા છે એ એના અધ્યક્ષ છે. અને આવનાર કોર્પોરેશનની ઇલેક્શન્સ છે કે આ લોકલ સેલ્ફ તાલુકા-જિલ્લા પંચાયતની ઇલેક્શન્સ છે, એમાં 'બીજેપી વર્સીસ ઓલ' એ નારો લઈને એ ચાલી રહ્યા છે. એમાં કોંગ્રેસ, આપવાળા જે માને એ ખરા. પ્રતિષ્ઠિત અને સારા લોકો આમાં આવે. એસેમ્બલી, લોકસભા અલગ સવાલ છે, જેમાં પાર્ટી મેન્ડેટ હોય વગેરે વગેરે. સ્થાનિક સ્વરાજ્યમાં સ્થાનિક લોકો જ હોય, એમાં પાર્ટીના મેન્ડેટની જરૂર ન હોય. એવા ઠેકાણે એ પ્રયોગ સુરતમાંય કરવાના છે, પછી મેં રાજકોટ મીટીંગ લીધેલી, અમદાવાદમાં પણ મીટીંગ થઈ ગયેલી છે. એક જે પ્રયોગ છે, જે પોતે વાસુદેવભાઈ કરવાના છે.હું કોંગ્રેસમાં જોડાવાનો નથી, મારે ખેસ નથી પહેરવો. પણ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં હરાવવી હોય અને કોંગ્રેસને એવું લાગે કે આપણા સપોર્ટની જરૂર છે, તો એમાં કઈ મારે કોઈ કન્ડિશન ન હોય અને મારે એમાંથી કંઈ લેવાનું નથી. પંજાબ સરકારના રૂપિયા અત્યારે ગુજરાતમાં ઠાલવવામાં આવે છેતેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આજે ભાજપનો જે નારો હતો કે 'કોંગ્રેસ મુક્ત ભારત' એની જગ્યાએ આખું ભાજપ 'કોંગ્રેસ યુક્ત' બની ગયું છે. આજની ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના એટલા બધા લોકો છે કે 'અસલ ભાજપ શું' એ શોધવું આજે સુરતમાં 'અસલ સુરતી કોણ' એ શોધવા જેવું અઘરું થઈ ગયું છે. ઓરીજનલ ભાજપ તો ખતમ થઈ ગયું છે. આ 'ભ્રષ્ટાચારી જનતા પાર્ટી' અત્યારે ભારતીય જનતા પાર્ટી બની ગઈ છે.મારે કોંગ્રેસનો પટ્ટો પહેરવાનો નથી, મારે કોંગ્રેસની વિધાનસભાની ટિકિટ પણ નથી લેવાની. પણ જો ભારતીય જનતા પાર્ટીને હરાવવામાં એમને લાગે કે મારું કોઈ યોગદાન કામ આવશે તો અમે તૈયાર છીએ, કોઈ વાંધો નથી.આમ આદમી પાર્ટીનો જન્મ જ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં ભેગા થઈને કોંગ્રેસનું 15 વર્ષનું શાસન હટાવવા માટેના કાવતરાના ભાગરૂપે થયો હતો.જે દિલ્હીમાં જન્મ થયો હોય એ બધે જ લાગુ પડે ને. પંજાબ સરકારના રૂપિયા અત્યારે ગુજરાતમાં ઠાલવવામાં આવે છે. મજા કરો, જે કરવું હોય એ કરો, પેલો પટ્ટો પહેરીને.
વાપી રેલવે સ્ટેશન પર રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા ઓપરેશન યાત્રી સુરક્ષા અંતર્ગત એક મુસાફરનો મોબાઇલ ચોરી કરનાર શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે. RPFએ આરોપીને આગળની કાર્યવાહી માટે ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) ને સોંપ્યો છે. RPF નિરીક્ષક આશીષ તિવારીના માર્ગદર્શન હેઠળ ASI નિતિનકુમાર ટંડેલ CCTV મોનિટરિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન, વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 નજીક એક સ્ટોલ પાસે સૂતેલા મુસાફરના ખિસ્સામાંથી એક શંકાસ્પદ વ્યક્તિ સામાન કાઢી ભાગતો જોવા મળ્યો હતો. આ અંગે તરત જ ત્યાં હાજર CPDS સ્ટાફ કોન્સ્ટેબલ ભગીરથને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ RPF સ્ટાફે તાત્કાલિક શંકાસ્પદ વ્યક્તિનો પીછો કર્યો અને તેને પકડી પાડ્યો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે સંતોષકારક જવાબ ન આપતા ભાગવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ તેને RPF વાપી કચેરીમાં લાવવામાં આવ્યો હતો. વાપી રેલવે સ્ટેશનના CCTV ફૂટેજ બતાવીને પૂછપરછ કરતા, આરોપીએ પોતાનું નામ સચિન મારુતિ ચરેકર (ઉંમર 40 વર્ષ, રહેવાસી પુણે, મહારાષ્ટ્ર) જણાવ્યું હતું. તેની તલાશી લેતા તેની પાસેથી બે મોબાઇલ ફોન મળ્યા હતા, જેમાં એક Realme કંપનીનો તેનો પોતાનો અને બીજો OPPO કંપનીનો સ્કાય બ્લૂ કલરનો મોબાઇલ સૂતેલા મુસાફરના ખિસ્સામાંથી ચોરી કર્યો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ RPF સ્ટાફે સૂતેલા મુસાફરને જગાડ્યો, જેમણે પોતાનું નામ પવનકુમાર કપિલકુમાર રાવત (ઉંમર 35 વર્ષ, રહેવાસી સિલવાસા રોડ, વાપી) જણાવ્યું હતું. તેમણે પોતાનો OPPO કંપનીનો મોબાઇલ ચોરી થયો હોવાનું જણાવતા કચેરીમાં રાખેલા સ્કાય બ્લૂ રંગના મોબાઇલને પોતાનો હોવાનું ઓળખ્યો હતો. આ મોબાઇલની અંદાજિત કિંમત આશરે 13,000 રૂપિયા હોવાનું જણાવાયું છે. આ ચોરીના બનાવ અંગે આરોપી સચિન ચરેકરને ચોરાયેલા મોબાઇલ અને ફરિયાદી સાથે GRP વાપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો હતો. GRP વાપી દ્વારા આરોપી સામે CR નં. 227/2026, કલમ 303(2) BNS હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2026 દરમિયાન અત્યાર સુધી RPF વાપી દ્વારા મુસાફરોના સામાન ચોરીના કુલ 6 આરોપીઓને ઝડપી GRPને સોંપવામાં આવ્યા છે. મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ અભિયાન ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.
મધ્ય પૂર્વ ક્ષેત્રમાં બદલાતી પરિસ્થિતિ અને વધતા ભૂ-રાજકીય તણાવ વચ્ચે ગુજરાતમાં ઘરેલું ઉપયોગ માટે એલ.પી.જી (LPG) સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે જણાવ્યું છે. રાજ્યમાં ગેસ સિલિન્ડરોના અવિરત પુરવઠા અને વિતરણ સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત મોનિટરિંગ કરી રહી છે. PNGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી રાજ્યની સ્થિતિ સ્થિર ગણાઈરાજ્યમાં LPG સ્ટોકનું યોગ્ય પરિવહન અને કાર્યક્ષમ વિતરણ થાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. ખાસ કરીને ગુજરાતમાં લગભગ 30 ટકા ઘરેલુ ગેસ પુરવઠો PNG ગેસ પાઇપલાઇન દ્વારા કરવામાં આવે છે અને PNGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી રાજ્યની સ્થિતિ અન્ય રાજ્યોની તુલનાએ વધુ સ્થિર ગણાઈ રહી છે. આ સાથે ઘરેલુ LPGનો પુરવઠો દરેક જગ્યાએ પૂરતો રહે તે માટે કેન્દ્ર સરકારના સૂચન મુજબ જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હાલ કોમર્શિયલ LPG સિલિન્ડરનું વેચાણ નિયંત્રિત કરવામાં આવ્યુંહવે એક જ ગ્રાહક દ્વારા બે LPG સિલિન્ડર બુકિંગ વચ્ચે ઓછામાં ઓછો 25 દિવસનો સમયગાળો રાખવામાં આવશે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ લોકો દ્વારા અનાવશ્યક સંગ્રહ ન થાય અને બજારમાં ગેસની ઉપલબ્ધતા સતત જળવાઈ રહે તે છે. કેન્દ્ર સરકારના નિર્ણય મુજબ હાલ કોમર્શિયલ LPG સિલિન્ડરનું વેચાણ નિયંત્રિત કરવામાં આવ્યું છે. જોકે હોસ્પિટલ તેમજ શૈક્ષણિક સંસ્થાઓને તેમની જરૂરીયાત મુજબ LPG ફાળવણી ચાલુ રાખવામાં આવશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે, LPGનો અનાધિકૃત સંગ્રહ, કાળાબજારી, નક્કી કરેલા ઉપયોગ સિવાય અન્ય ઉપયોગ અથવા નિયત કિંમત કરતા વધુ ભાવ વસૂલવો આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 તથા LPG કંટ્રોલ ઓર્ડર-2000 મુજબ કાયદેસર ગુનો છે. આવી પ્રવૃત્તિ સામે સક્ષમ અધિકારીઓ દ્વારા કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.
ભાઈ-બહેનોને પણ મળશે મેડિકલ સુવિધા રાજ્ય સરકારના કર્મચારીઓ પર નિર્ભર ભાઈ-બહેનોને પણ હવે મેડિકલ સારવારનો લાભ લઈ શકશે..અત્યાર સુધી માત્ર માતા-પિતા અને સંતાનોને જ લાભ મળતો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ખાડી દેશોના યુદ્ધ વચ્ચે સી ફૂડ નિકાસ પર અસર અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધ વચ્ચે ગુજરાતના સીફૂડ નિકાસ પર અસર પડી. છેલ્લા ત્રણ-ચાર દિવસમાં નિકાસ માટેના શિપિંગ કન્ટેનરના ભાડામાં નોંધપાત્ર વધારો થયો છે. જ્યારે વિદેશથી આવતા કન્ટેનરોની સંખ્યામાં ઘટાડો થયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સાબરમતી નદીને પહેલી એપ્રિલથી ખાલી કરાશે સાબરમતી નદીને પહેલી એપ્રિલથી 15 જૂન સુધી ખાલી કરવામાં આવશે.. 15મી જૂન સુધી સાબરમતી નદી ખાલી કરાશે..સુભાષબ્રિજનું સ્ટ્રક્ચર તોડવાનું હોવાથી અને વાસણા બેરેજના 18 દરવાજા નવા નાખવાના હોવાથી નદી ખાલી કરાશે.આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હવે કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદમાં સિંગર કિંજલ દવે, આરતી સાંગાણી બાદ હવે કિંજલ રબારી પણ પ્રેમલગ્નને લઈને વિવાદમાં.. પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા બાદ વીડિયો બનાવી પોલીસ પ્રોટેક્શનની માગ કરી. કહ્યું, મને કે પતિને કંઈ થશે તો પરિવાર જવાબદાર રહેશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અંબાજી મંદિરના ભંડારામાં દારુ-નોનવેજની પાર્ટી જૂનાગઢના ગિરનાર પર અંબાજી મંદિરના ભંડારામાં દારૂ-નોનવેજની પાર્ટી કરાઈ.જ્યાં માતાજીને પ્રસાદ તૈયાર થાય છે તે સ્થળને જ અપવિત્ર કરનાર 10 પૂજારી સહિત 11ની હકાલપટી કરવામાં આવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. ફાયર વિભાગની ત્રણ ગાડીઓ કોર્ટ સંકુલમાં પહોંચી.. આખી બિલ્ડિંગ ખાલી કરી તપાસ હાથ ધરવામાં આવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 15 વર્ષની સગીરાએ બાળકને જન્મ આપ્યો મહેસાણાના લાઘણજમાં 15 વર્ષની સગીરાએ 108માં બાળકને જન્મ આપ્યો. મજૂરીકામ કરતી માતાની દીકરીની એકલતાનો લાભ લઈ યુવકે 6 મહિના સુધી તેને હવસનો શિકાર બનાવી હતી. સાત માસે સગીરાએ બાળકને જન્મ આપ્યો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો LTના એન્જિનિયરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી વડોદરામાં એલ ટીના એન્જિનિયરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો...લગ્ન સંબંધિત મૂંઝવણને કારણે તેમણે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગાંજો વેચવા માટે ફ્લેટ ભાડે લીધોરાજકોટના યુવકે ગાંજો વેચવા ગાંધીનગરમાં મહિને 90 હજારના ભાડાનો લક્ઝુરિયસ ફ્લેટ રાખ્યો હતો..પોલીસે 26 લાખનો ગાંજો, બે આઇફોન, ઇલેક્ટ્રિક વજન કાંટો જપ્ત કરી આરોપીને ઝડપી પાડ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 42 ડિગ્રી સાથે રાજકોટ બન્યું સૌથી ગરમ શહેરમાર્ચની શરુઆતમાં જ ગુજરાતમાં અગનવર્ષા.42 ડિગ્રી સાથે રાજકોટ ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું..9 શહેરોમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરાઈ છે.આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
મધ્ય પૂર્વ ક્ષેત્રમાં બદલાતી પરિસ્થિતિ વચ્ચે ગુજરાત રાજ્યમાં ઘરેલુ LPGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે આ માહિતી આપી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા LPG સિલિન્ડરના અવિરત વિતરણ માટે સતત દેખરેખ અને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવને ધ્યાનમાં રાખીને, રાજ્યમાં ઉપલબ્ધ LPG સ્ટોકનું સુચારુ પરિવહન અને કાર્યક્ષમ વિતરણ સુનિશ્ચિત કરવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગુજરાતમાં આશરે 30 ટકા ઘરેલુ ગેસ PNG પાઈપલાઈન દ્વારા પૂરો પાડવામાં આવે છે, અને PNGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી રાજ્યની સ્થિતિ વધુ અનુકૂળ હોવાનું જણાવાયું છે. તકેદારીના ભાગરૂપે, કેન્દ્ર સરકારના સૂચન મુજબ, જાહેરક્ષેત્રની ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ એક જ ગ્રાહક દ્વારા બે LPG સિલિન્ડરની બુકિંગ વચ્ચે 25 દિવસનો સમયગાળો રાખવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં બિનજરૂરી તણાવ અટકાવવાનો અને LPGનો અનાવશ્યક સંગ્રહ ટાળવાનો છે. કેન્દ્ર સરકારના નિર્ણય અનુસાર, હાલ કોમર્શિયલ LPG સિલિન્ડરના વેચાણને નિયંત્રિત કરવામાં આવ્યું છે. જોકે, હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓને તેમની જરૂરિયાત મુજબ LPGની ફાળવણી યથાવત્ રાખવામાં આવી છે. LPGનો અનાધિકૃત સંગ્રહ, કાળાબજારી, નિયત ઉપયોગ સિવાય અન્ય ઉપયોગ અથવા નિયત કિંમત કરતાં વધુ ભાવ વસૂલવો એ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ–1955 અને LPG કંટ્રોલ ઓર્ડર–2000 મુજબ કાયદેસર ગુનો બને છે. જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું છે કે આવી ગેરરીતિ કરનાર સામે રાજ્ય સરકારના સક્ષમ અધિકારી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ડિંડોલી પોલીસ દ્વારા છેલ્લા 3 વર્ષમાં 2 વખત જેની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી તેવા રીઢા ગુનેગાર ધીરજની તેના જ મિત્રોએ નિર્મમ હત્યા કરી નાખી છે. જ્ઞાન ભારતી હિન્દી સ્કૂલની સામે આવેલા રામદેવનગર ખાતે બનેલી આ ઘટનામાં 5થી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ધીરજને તેના જ અંગત મિત્રોએ પાઈપ અને બેલ્ટના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. હાલ ત્રણેય આરોપી ફરાર છે. મિત્રો ઘરેથી લઈ જઈ ઢોર માર માર્યો અને પરત ઘરે મૂકી ગયાઘટનાની વિગત એવી છે કે, રામદેવનગરમાં રહેતા ધીરજ નામના યુવકને તેના જ ત્રણ મિત્રો ઘરેથી બોલાવીને બહાર લઈ ગયા હતા. આ ત્રણેય શખસોએ ધીરજને કોઈ અવાવરું જગ્યાએ લઈ જઈ પાઇપ અને બેલ્ટ જેવા હથિયારો વડે બેરહેમીપૂર્વક ઢોર માર માર્યો હતો. માર માર્યા બાદ ગંભીર હાલતમાં ધીરજને તેના જ મકાનમાં પરત મૂકીને શખસો ફરાર થઈ ગયા હતા. મકાનમાં લાવવામાં આવ્યો ત્યારે ધીરજ જીવિત હતો, પરંતુ શરીર પર થયેલા ગંભીર ઈજાઓના કારણે ટૂંક જ સમયમાં તેનું કરુણ મોત નિપજ્યું હતું. સોનુ અને શનિ નામના શખસો સામે હત્યાની આશંકાડિંડોલી પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, હત્યા પાછળ સોનુ અને શનિ નામના બે શખસો સહિત કુલ ત્રણ લોકો સામેલ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ-ચાર દિવસથી ધીરજ અને આ શખસો વચ્ચે કોઈ બાબતે અણબનાવ ચાલી રહ્યો હતો. આ જૂની અદાવતનો બદલો લેવા માટે આયોજનબદ્ધ રીતે મિત્રોએ જ ધીરજને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું અનુમાન છે. હાલમાં સોનુ અને શનિ સહિતના અતુલ નામના આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. મૃતક ધીરજ સામે પાંચથી વધુ ગુના દાખલહત્યાનો ભોગ બનનાર ધીરજ પોતે પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું પોલીસ દફતરે નોંધાયું છે. તેની સામે અગાઉ લૂંટ, મારામારી જેવા પાંચથી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. વારંવાર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હોવાને કારણે ડિંડોલી પોલીસે તેને બે વખત પાસા હેઠળ જેલમાં પણ મોકલ્યો હતો. મૃતક ધીરજ સિંહ હત્યા કેસમાં આરોપી શની વિજય ચૌહાણ, અતુલ સિંહ બિહારી અને સોનુ ઉર્ફે સોનુ વર્માની શોધખોળ ડિંડોલી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પોલીસ તપાસમાં પાઇપ અને બેલ્ટના નિશાનો મળ્યાઘટનાની જાણકારી મળતા જ ડિંડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે રૂમની અંદર સઘન તપાસ હાથ ધરતા મૃતકના શરીર પર ગંભીર ઈજાના નિશાનો જોવા મળ્યા હતા. ધીરજના શરીર પર પાઇપ અને બેલ્ટ વડે ફટકારવામાં આવ્યો હોય તેવા ઊંડા ઘા હતા. આરોપીઓએ એટલી હદે ક્રૂરતા દાખવી હતી કે યુવક લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યો હતો. પોલીસે પંચનામાની વિધિ પૂર્ણ કરી મૃતદેહને સ્મીમેર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. આરોપીઓની શોધખોળ શરૂડિંડોલી વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મૃતક યુવક હાલમાં એકલો જ રહેતો હતો, જેનો ફાયદો ઉઠાવી આરોપીઓએ આ કૃત્ય આચર્યું હતું. ડિંડોલી પોલીસે હાલ હત્યાનો ગુનો નોંધી ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે અને અલગ-અલગ ટીમો બનાવી ફરાર આરોપીઓને પકડવા માટેના કાર્યવાહી શરૂ કરી છે.
આઈપીએસ અધિકારી વિધિ ચૌધરીએ પંચમહાલ-ગોધરા રેન્જના અધિક પોલીસ મહાનિરીક્ષક (DIGP) તરીકે વિધિવત રીતે પદભાર સંભાળ્યો છે. ગોધરા રેન્જમાં પોલીસ વહીવટમાં આ એક મોટો ફેરફાર છે. ચાર્જ સંભાળ્યા બાદ તેમણે રેન્જ હેઠળ આવતા જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. હવે મહિલા આઈપીએસ અધિકારી વિધિ ચૌધરીના શિરે સુરક્ષાની જવાબદારી આવી છે. ગોધરા રેન્જ ઓફિસ ખાતે આયોજિત પદગ્રહણ કાર્યક્રમમાં રેન્જના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ગોધરા રેન્જ હેઠળ આવતા ત્રણ મુખ્ય જિલ્લાઓના પોલીસ વડાઓ, જેમાં પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક (SP), દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) અને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક (SP) સહિત અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પદભાર સંભાળ્યા બાદ વિધિ ચૌધરીએ ઉપસ્થિત SP ઓ અને અધિકારીઓ સાથે પ્રારંભિક બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લાઓની ભૌગોલિક સ્થિતિ અને ગુનાખોરીના નિયંત્રણ અંગે ટૂંકમાં ચર્ચા કરવામાં આવી હતી.
અમરેલીની જાણીતા અવધ રેસ્ટોરન્ટમાં એક ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. આજે ગ્રાહકે રૂ. 280નું ટિફિન મંગાવ્યું હતું. ઘરે આવીને પાર્સલ ખોલતા જ ટીફિન સાથે મળેલી છાશમાંથી જીવાત નીકળી હતી. જેથી ગ્રાહક ચોંકી ગયો હતો. સમગ્ર માલે ગ્રાહકની ફરિયાદ બાદ ફૂડ વિભાગની ટીમે તાત્કાલિક રેસ્ટોરન્ટ પર દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. અમરેલી શહેરના ચીતલ રોડ પર રહેતા હાર્દિક જોષીએ જણાવ્યું કે, તેમણે બપોરે એક વાગ્યાની આસપાસ અવધ હોટલમાંથી ટિફિન પાર્સલ કરાવ્યું હતું. ઘરે જઈને પાર્સલ ખોલતા છાશમાં કાળી જીવાત જેવું કંઈક દેખાયું હતું. હાર્દિક જોષીએ આ ઘટનાનો વીડિયો રેકોર્ડિંગ પણ કર્યું હતું. તેમણે આને સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાવ્યું હતું અને ફૂડ વિભાગ દ્વારા આ હોટલની વ્યવસ્થિત તપાસ કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ફૂડ વિભાગ દ્વારા રેસ્ટોરન્ટમાંથી ફૂડના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલને વધુ તપાસ માટે વડોદરાની લેબોરેટરીમાં મોકલવામાં આવશે. જીવાત નીકળવાની ઘટનાને ગંભીરતાથી લઈ ફૂડ વિભાગ દ્વારા રેસ્ટોરન્ટને નોટિસ આપવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી થશે. અમરેલી ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટર કિશોર કળસરિયાએ જણાવ્યું કે, અવધ રેસ્ટોરન્ટમાં એક ગ્રાહકની ફરિયાદ મળી હતી કે પાર્સલમાં જીવાત છે. જેથી અમારી ટીમ સેમ્પલ લેવા માટે આવી છે, જે સેમ્પલ વડોદરા જશે. અવધ રેસ્ટોરન્ટને નોટિસ પણ આપવામાં આવશે.
વડોદરા મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને રિવ્યૂ બેઠક મળી હતી. આ બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓ સાથે ચાલી રહેલા કામો અને આગામી સમયમાં હાથ ધરાનાર કામો અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. શહેરમાં ઉનાળાના સમયમાં પાણીની સમસ્યા વિકટ ન બને તે માટે આજવાથી આવતી 125 MLD પાણીની લાઇન આગામી એક મહિનામાં જોડી પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પાણી મળે તેવા પ્રયાસો કરવા સૂચના આપવામાં આવી છે. આજવાથી 125 MLD પાણી શહેરને મળી શકે તેની કામગીરીમ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, પાણીના સોર્સ બાબતને અમે ગંભીરતાથી લઈ રહ્યા છે. આજવાથી 125 MLD પાણી શહેરમાં મળી શકે તે માટેની પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. WTP (Water Treatment Plant) ઓલમોસ્ટ રેડી છે, ઇલેક્ટ્રિકલ પ્લમ્બિંગ કામ ચાલી રહ્યું છે જે અમુક ત્રણ જંક્શન છે SSNL નું એક, NHAI નું એક અને રોડનું એક એના ઉપર કામગીરી ચાલુ છે. 2.8 કિલોમીટરની લાઇનની પણ વિઝીટ કરવાનું પ્લાનિંગ કર્યું છે. અમારી ઈચ્છા છે કે આવતા એક મહિનાની અંદર આ 125 MLDની લાઈન જોડાણ કરીને ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોન માટે પાણી પૂરું પાડી શકાય એ દિશામાં અત્યારે કામગીરી કરવાનું નક્કી કર્યું છે. ડ્રેનેજની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવા સૂચનામ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, શહેરમાં ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે જેના કારણે અનેક જગ્યાએ ખાડા ખોદતા છે તે અંગે તાકીદ કરી છે કે આ કામ માર્ચ-એપ્રિલ સુધી પૂરું કરી દેવાય, જેથી કરીને લોકોની તકલીફ ઓછી પડે, રોડ ડાયવર્સનનું કામગીરી વહેલા પૂરું થઈ જાય એનું પણ આજે રિવ્યુ કરવાનું છે. જાહેરમાં થૂંકશો તો દંડાશોપાલિકા દ્વારા સ્વચ્છતા બાબતે મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાહેરમાં ગંદકી કરનાર સામે દંડનીય કાર્યવાહી કરાઈ રહી છે. આગામી સમયમાં જાહેરમાં થૂંકનાર સામે પણ દંડનીય કામગીરી કરવામાં આવશે. હાલ સુધીમાં 28 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. દુકાનદારો અને ગલ્લા ધારકોને પણ આ અંગેની સૂચના આપવામાં આવી છે. સ્વચ્છતા સૈનિકોનું જાહેરમાં સન્માન કરાશેશહેર જે સ્વચ્છતા કર્મીઓ સારી કામગીરી કરશે તેઓનું સન્માન કરવામાં આવશે. અને સ્વચ્છતા બાબતે જે લોકો ઉત્કૃષ્ટ કામગીરી કરશે તેઓના ફોટો શહેરમાં વિવિધ જગ્યાએ લાગેલી LED સ્ક્રીન ઉપર પણ મૂકવામાં આવશે. આગમી સમયમાં દરેક સોસાયટીમાં જઈને લોકોને સમજાવવામાં આવશે. એક મહિનામાં 400થી વધુ સોસાયટીના રહીશોને સમજ આપવાની કામગીરી હાથ ધરાશે.
ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2025-2026ના બજેટમાં દિવ્યાંગો માટે ફાળવવામાં આવેલી જોગવાઈઓ સામે રાજ્યભરના દિવ્યાંગોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા જાહેર કરાયેલી યોજનાઓ અપૂરતી હોવાના આક્ષેપ સાથે આજે દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશના નેજા હેઠળ મોટી સંખ્યામાં દિવ્યાંગો ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયા હતા. આ તકે તેઓએ પોતાની પડતર માંગણીઓ અંગે સરકાર સામે બાયો ચઢાવી ન્યાયની માંગ કરી હતી. 80 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકોને જ મળતા પેન્શન સામે વિરોધદિવ્યાંગ અધિકાર મંચ દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં મુખ્યત્વે પેન્શન અને રોજગારીના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. રાજ્યમાં 80 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકોને જ મળતા પેન્શન સામે વિરોધ દર્શાવતા મંચે માંગ કરી છે કે, 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા તમામ વ્યક્તિઓને સંત સૂરદાસ યોજના હેઠળ પેન્શનનો લાભ મળવો જોઈએ. અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતમાં દિવ્યાંગોને મળતી સહાય ઓછી હોવાનું જણાવી તમામ કેટેગરીના દિવ્યાંગોને માસિક 5000 રૂપિયા સમાન પેન્શન આપવાની રજૂઆત કરવામાં આવી છે. સાયકલ યોજના રદ કરી રાજસ્થાન સરકારની જેમ આધુનિક સ્કૂટી આપવાની માંગરોજગારી અને શિક્ષણ ક્ષેત્રે પણ દિવ્યાંગોએ મહત્વના સુધારાની માંગ કરી છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં 40 ટકા પાસિંગ માર્કની પદ્ધતિ રદ કરવા અને સરકારી ભરતીઓમાં દિવ્યાંગોની ખાલી પડેલી જગ્યાઓ સત્વરે ભરવા માટે માંગ છે. આ ઉપરાંત ટેકનોલોજીના યુગમાં જૂની બેટરીવાળી સાયકલ યોજના રદ કરી રાજસ્થાન સરકારની જેમ આધુનિક સ્કૂટી આપવાની માંગ પણ જોરશોરથી ઉઠાવવામાં આવી છે. દિવ્યાંગ પરિવારોને ઘરવપરાશમાં રાહત મળે તે હેતુથી મફત વીજળી અને ગેસ કનેક્શન આપવાની દરખાસ્ત પણ સરકાર સમક્ષ મૂકવામાં આવી છે. આ માંગણીઓ નહીં સંતોષે તો આ આંદોલન વધુ તેજ બનાવવામાં આવશેસત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયેલા દિવ્યાંગોએ 2016ના દિવ્યાંગ અધિકાર કાયદાના ચુસ્ત અમલીકરણ માટે સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. સંગઠનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, જો સરકાર દિવ્યાંગ સમાજ પ્રત્યે સહાનુભૂતિપૂર્વક વિચારી આગામી દિવસોમાં આ માંગણીઓ નહીં સંતોષે તો આ આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. બજેટમાં કરવામાં આવેલો અન્યાય દિવ્યાંગોના આત્મસન્માન સામેનો પડકાર હોવાનું જણાવી તેઓએ ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના બેરણા ગામે આજે બપોરના સમયે સાગર નટવરભાઈ પટેલના ઘઉંના ખેતરમાં આગ લાગી હતી. વીજ તણખા ઝરવાના કારણે તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ થયો હતો. આ આગ પ્રસરતા અંદાજે બે વીઘા જમીનમાં ઉભેલો ઘઉંનો પાક બળી ગયો હતો. આ ઘટનાથી ખેડૂતને મોટું નુકસાન થયું છે. આગ લાગતાની સાથે જ સ્થાનિક ખેડૂતોએ તેને બુઝાવવા માટે પ્રયાસો કર્યા હતા. આ અંગે ખેડૂત દ્વારા યુજીવીસીએલ (UGVCL) કચેરીમાં જાણ કરવામાં આવી હતી.
આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની સૂચનાથી જિલ્લા પુરવઠા અધિકારીએ ગેસ પુરવઠો જાળવી રાખવા માટે મામલતદારો અને IOCL-HPCLના અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, ગેસ સિલિન્ડરનો બિનજરૂરી સંગ્રહ કે કાળાબજારી કરનાર સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ અને પી.બી.એમ. એક્ટ હેઠળ કડક ફોજદારી પગલાં ભરવામાં આવશે. ખાસ કરીને, અન્ય સૂચના ન મળે ત્યાં સુધી કોમર્શિયલ સિલિન્ડરના સપ્લાયમાં હોસ્પિટલો અને શાળાઓને પ્રથમ પ્રાથમિકતા આપવા આદેશ કરાયો છે. પુરવઠા અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, જે રહેણાંક વિસ્તારોમાં પી.એન.જી. (PNG) પાઈપલાઈન કનેક્શન કાર્યરત છે, તેવા ગ્રાહકોને હાલની સ્થિતિમાં એલ.પી.જી. બોટલ ન આપવા સૂચના અપાઈ છે. જિલ્લામાં ગેસનો જથ્થો સમયસર પહોંચતો કરવા માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓના બોટલિંગ પ્લાન્ટ અને સેલ્સ ઓફિસરો સાથે સતત સંપર્ક જાળવી રાખવા પણ તાકીદ કરવામાં આવી છે. તંત્રએ જાહેર જનતાને અપીલ કરી છે કે કોઈ પણ પ્રકારની અફવાઓથી પ્રેરાઈને ગેસનો બિનજરૂરી સંગ્રહ ન કરવો. જો કોઈ ગેસ એજન્સી નિયમ કરતા વધુ ભાવ વસૂલે અથવા કાળાબજારી કરે, તો તાત્કાલિક હેલ્પલાઇન નંબર અથવા કલેક્ટર કચેરીએ ફરિયાદ કરવા જણાવાયું છે. આ બેઠકમાં જિલ્લાના મામલતદારો સહિત આઈ.ઓ.સી. અને એચ.પી.સી.એલ.ના નોડલ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.
દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
મહેસાણા જિલ્લામાં મનરેગા યોજના હેઠળ ફરજ બજાવતા ટેકનિકલ કર્મચારીઓએ છેલ્લા પાંચ મહિનાથી પગાર ચૂકવવામાં ન આવતા તંત્ર સામે વિરોધ વ્યક્ત કર્યો છે. ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે જુદા-જુદા તાલુકાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી તાત્કાલિક પગાર ચૂકવવાની માંગ કરી છે. 10 તાલુકાઓમાં 17થી વધુ ટેકનિકલ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છેઆવેદનમાં જણાવ્યા મુજબ મહેસાણા જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત કુલ 10 તાલુકાઓમાં 17થી વધુ ટેકનિકલ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. જોકે છેલ્લા ઓક્ટોબર 2024થી ફેબ્રુઆરી 2025 સુધીના પાંચ મહિનાથી તેમને પગાર મળ્યો નથી. જેના કારણે કર્મચારીઓ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પગાર ન મળતા કર્મચારીઓના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હોવાનું કર્મચારીઓએ રજૂઆતમાં જણાવ્યું છે. કર્મચારીઓએ વધુમાં જણાવ્યું છે કે પાંચ મહિનાથી સતત પગાર બાકી હોવા છતાં તંત્ર તરફથી કોઈ યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. જેના કારણે માનસિક તેમજ આર્થિક પરેશાનીઓ વધી રહી છે. હાલત એવી બની છે કે, કેટલાક કર્મચારીઓને જીવન નિર્વાહ માટે અન્ય રોજગારના વિકલ્પો શોધવાની ફરજ પડી રહી છે. ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી ઓફિસનું કામકાજ બંધ કરવાની ફરજ પડશેઆ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કર્મચારીઓએ રાજ્ય સરકાર અને જિલ્લા તંત્રને બાકી રહેલા પાંચ મહિનાના પગારની રકમ તાત્કાલિક ચૂકવવાની માંગ કરી છે. આ સાથે જ ચેતવણી આપી છે કે, જો પગાર અંગે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો તેઓ NO_PAY_NO_WORK ના સૂત્ર સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી ઓફિસનું કામકાજ બંધ કરવાની ફરજ પડશે.આ અંગે કર્મચારીઓએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી તંત્રને ઝડપથી નિર્ણય લેવા અપીલ કરી છે.
પંચમહાલ પેરોલ ફ્લો સ્ક્વોડે ગોધરામાંથી બે વર્ષથી ફરાર બનાવટી દસ્તાવેજના આરોપી સુલેહઉદ્દીન ઉર્ફે સુલેહ મોહંમદ અબ્દુલ મોખતી (સૈયદ)ને ઝડપી પાડ્યો છે. આ આરોપી ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હતો. પંચમહાલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ સક્રિય છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડો. હરેશભાઈ દુધાતની સૂચના બાદ, પેરોલ ફ્લો સ્ક્વોડના પી.એસ.આઈ. બી.એમ. રાઠોડ અને તેમની ટીમ આ દિશામાં કાર્યરત હતી. આ દરમિયાન, એ.એસ.આઈ. રૂપસિંહ કલાભાઈને હ્યુમન સોર્સ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે વોન્ટેડ આરોપી સુલેહઉદ્દીન ઉર્ફે સુલેહ મોહંમદ અબ્દુલ મોખતી (સૈયદ) સૈયદવાડા તળાવ પાસે હાજર છે. આરોપી સુલેહઉદ્દીન વિરુદ્ધ ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બનાવટી દસ્તાવેજો બનાવી છેતરપિંડી કરવાનો ગંભીર ગુનો નોંધાયેલો હતો. તે છેલ્લા બે વર્ષથી ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હતો. બાતમીના આધારે, પેરોલ ફ્લો સ્ક્વોડે ગોધરાના સૈયદવાડા તળાવ પાસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. હાલમાં, આરોપીનો કબજો આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે.
ગોધરાની ધી ઇકબાલ યુનિયન હાઇસ્કુલમાં ધોરણ 12 બોર્ડની પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થીનીની તબિયત લથડી હતી. સેક્રેટરીયલ પ્રેક્ટિસ (SP) વિષયનું પેપર આપી રહેલી વિદ્યાર્થીનીને અચાનક ચક્કર અને ગભરામણ થતા, 108 એમ્બ્યુલન્સ અને ઝોનલ ઓફિસરની સતર્કતાને કારણે તેનું વર્ષ બગડતું બચી ગયું. પરીક્ષાના પ્રથમ કલાક પૂર્ણ થવા આવ્યો ત્યારે આ ઘટના બની હતી. શાળાના કેન્દ્ર સંચાલક અને સુપરવાઇઝર દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીનીને તાબડતોબ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી. સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ વિદ્યાર્થીનીને પ્રાથમિક સારવાર આપી તેમની સ્થિતિ સ્થિર કરી. આ દરમિયાન ઝોનલ ઓફિસર પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. વિદ્યાર્થીનીનું ભવિષ્ય અને તેનું વર્ષ ન બગડે તે માટે, ડોક્ટરોની પરવાનગી અને વિદ્યાર્થીનીની ઈચ્છાશક્તિ જોતા, ઝોનલ ઓફિસરે તેમને પોતાની દેખરેખ હેઠળ ફરી પરીક્ષા કેન્દ્ર પર લાવ્યા. આનાથી વિદ્યાર્થીની પોતાનું 'સેક્રેટરીયલ પ્રેક્ટિસ'નું પેપર પૂર્ણ કરી શક્યા. આ ઘટનાએ દર્શાવ્યું કે વહીવટી તંત્ર માત્ર નિયમોનું પાલન જ નથી કરતું, પરંતુ જરૂર પડ્યે માનવતાવાદી અભિગમ અપનાવી વિદ્યાર્થીઓના હિતમાં પણ કાર્ય કરે છે.
જૂનાગઢની શાન અને ગિરનારના ગૌરવ સમાન એશિયાટિક લાયન્સ હવે ધીરે ધીરે માનવ વસ્તીની નજીક આવેલા કુદરતી સ્ત્રોતો તરફ વળી રહ્યા છે. ઉનાળાના પ્રારંભની સાથે જ ગિરનારના જંગલને અડીને આવેલા ઐતિહાસિક વિલિંગ્ટન ડેમના કાંઠે એક સિંહ યુગલ આરામ ફરમાવતું જોવા મળ્યું હતું. પ્રકૃતિના ખોળે ખીલેલા આ નયનરમ્ય નજારામાં સિંહ અને સિંહણની રોયલ અદાએ સ્થાનિકો અને વન્યજીવ પ્રેમીઓમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. દર વર્ષે જ્યારે ગરમીનો પારો વધવાની શરૂઆત થાય છે, ત્યારે વનરાજા જળ સ્ત્રોતોની શોધમાં અને ઠંડક મેળવવા માટે ડેમ સાઈડના વિસ્તારોમાં પડાવ નાખતા હોય છે. આ સિંહ યુગલ પણ બપોરના સમયે ડેમના કિનારે શાંતિથી આરામ કરી સાંજ પડતા જ ફરી જંગલની ગહનતામાં ઓગળી જતું જોવા મળે છે. ગિરનારના જંગલ વિસ્તારમાં સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, જે વન વિભાગ અને પર્યાવરણ પ્રેમીઓ માટે અત્યંત આનંદના સમાચાર છે. વર્ષ 2025 માં કરવામાં આવેલી સિંહ વસ્તી ગણતરીના આંકડા મુજબ, ગિરનારના જંગલ અને તેની આસપાસના વિસ્તારોમાં કુલ 54 જેટલા સિંહોનો કાયમી વસવાટ હોવાનું સામે આવ્યું છે. આ આંકડો દર્શાવે છે કે ગિરનારનું પર્યાવરણ અને વન વિભાગની જાળવણી સિંહો માટે અનુકૂળ સાબિત થઈ રહી છે. વિલિંગ્ટન ડેમ એ ગિરનારના જંગલની બિલકુલ સરહદ પર આવેલું હોવાથી, અહીં વન્યજીવોની અવરજવર સતત રહેતી હોય છે, પરંતુ સિંહ યુગલનું આ પ્રકારે જાહેરમાં ડેમના કાંઠે આરામ કરવું તે પ્રકૃતિ અને શાસન વચ્ચેના સમન્વયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. વન વિભાગ દ્વારા આ સિંહ યુગલની સુરક્ષા અને જાળવણી માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. જ્યારે આ સિંહ યુગલ ડેમની પાળ પરથી ઉતરીને જંગલ તરફ પ્રયાણ કરી રહ્યું હતું, ત્યારે વન વિભાગના સ્ટાફ દ્વારા તાત્કાલિક ધોરણે મોનિટરિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વનકર્મીઓએ સિંહોને કોઈપણ ખલેલ પહોંચાડ્યા વગર તેમને સલામત રીતે જંગલના સુરક્ષિત વિસ્તારમાં ખસેડવાની કામગીરી અત્યંત કુશળતાપૂર્વક પૂર્ણ કરી હતી. આ દરમિયાન લોકોમાં પણ ભારે કુતૂહલ જોવા મળ્યું હતું, જોકે વન વિભાગે લોકોને સિંહોની નજીક ન જવા અને વન્યજીવ સુરક્ષાના નિયમોનું પાલન કરવા ખાસ સૂચના આપી હતી. પ્રકૃતિના આ અણમોલ વારસાને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા, પરંતુ વન વિભાગના સતત પેટ્રોલિંગને કારણે કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી. જૂનાગઢની ભૌગોલિક સ્થિતિ એવી છે કે અહીં વન્યજીવો અને માનવીઓ વચ્ચેનો સેતુ વર્ષો જૂનો છે. ગિરનારના ડુંગરાઓ અને તેની આસપાસના જળાશયો સિંહો માટે સ્વર્ગ સમાન છે. ખાસ કરીને ઉનાળાના આકરા તડકામાં વનરાજા પાણીની નજીક રહેવાનું પસંદ કરે છે. વિલિંગ્ટન ડેમની આસપાસનું સૌંદર્ય અને ત્યાંની શાંતિ સિંહોને આકર્ષે છે, જે પ્રકૃતિ અને વન્યજીવ સૃષ્ટિના અતૂટ સંબંધને ઉજાગર કરે છે. 2025 ની વસ્તી ગણતરીમાં નોંધાયેલા 54 સિંહોના વસવાટને કારણે હવે આ વિસ્તારોમાં વન વિભાગે પોતાની સજ્જતા વધુ મજબૂત બનાવી છે, જેથી સિંહો અને માનવીઓ બંને સુરક્ષિત રહી શકે અને ગિરનારનું આ નૈસર્ગિક સૌંદર્ય હંમેશા જળવાઈ રહે.
સુરત શહેરના સચિન હોજીવાલા વિસ્તારમાં આવેલા એથર કંપનીનાં પાંચ માળના વેરહાઉસમાં ગત રોજ બપોરે અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી. ભીષણ આગમાં સોલવન્ટ-કેમિકલ ભરેલા ડ્રમ આગની ઝપેટમાં આવી જતા એક પછી એક એમ કુલ 30થી વધુ બ્લાસ્ટ થયા હતા. જેના કારણે આગ વધુ વિકરાળ બની હતી. શરૂઆતના તબક્કામાં કંપનીના ફાયરબ્રિગ્રેડના જવાનોએ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, આગ કાબૂ બહાર નીકળી જતા નાછૂટકે સુરત ફાયરબ્રિગ્રેડ વિભાગને જાણ કરવાની ફરજ પડી હતી. FSLમાં ફાયર સેફ્ટી અને ગેરકાયયદે ડોમ અંગે ચોંકવનાર ઘટસ્ફોટફાયરબ્રિગ્રેડની 4 કલાકની જેહમત બાદ અંતે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. જોકે, કુલિંગની કામગીરી રાત્રે એક વાગ્યા સુધી ચાલી હતી. આગના કારણો અંગે FSL દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ત્યારે હેઠળ કંપનીના વેરહાઉસ ઉપર ગેરકાયદે પતરાનો ડોમ થવાનું સામે આવ્યું છે. આ સાથે જ આગમાં ફાયર સેફ્ટીએ કામ ન કર્યું હોય તે પ્રકારની પણ માહિતી મળી રહી છે. જ્યારે આસપાસની ચાર જેટલી ટિમ્બર સહિત કંપનીઓ પણ ઝપેટમાં આવી હતી તેમાં પણ ફાયર સેફ્ટી ન હોવાનું સામે આવ્યું છે. તેથી, આ મામલે આગામી સમયમાં કડક કાર્યવાહી થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. રાત્રે એક વાગ્યા સુધી કુલિંગની કામગીરી ચાલી હતીઆગની ઘટનામાં પણ ફાયરબ્રિગ્રેડ વિભાગને તાત્કાલિક જાણ કરવાના બદલે એક કલાક કરતા વધુ સમય બાદ જાણ કરવાની બેદરકારી દાખવવામાં આવી છે. એથર કંપનીના વેરહાઉસમાં કેમિકલનો મોટો જથ્થો હોવાને કારણે આગ વધુ વિકરાળ બની હતી. મોડી સાંજ સુધી પણ ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચાલુ રાખવામાં આવ્યો હતો. રાત્રે એક વાગ્યા સુધી કુલિંગની કામગીરી ચાલી હતી. પાંચ માળનાં વેરહાઉસમાં સોલવન્ટ જેવા અત્યંત જવલનશીલ કેમિકલનો કેટલો સંગ્રહ કરવામાં આવ્યો હતો તેની તપાસ જરૂરી છે. આ સાથે જ ટેરેસ પર ગેરકાયેદસર પતરાનો ડોમ પણ બનાવવામાં આવેલો છે. આસપાસની મોટાભાગની ઈમારતો પર ગેરકાયદે ડોમથી ટેરેસ પેક કરી દીધાતક્ષશિલા અગ્નિકાંડ બાદ બિલ્ડિંગો પર બંધાઈ ગયેલાં ગેરકાયદે ડોમ તોડી પાડવાની ઝૂંબેશ મહાનગર પાલિકા દ્વારા ઉપાડવામાં આવી હતી. સમય જતાં મહાનગરપાલિકાનાં સત્તાધીશો ઢીલાં પડતાં ધીમે-ધીમે ગેરકાયદે ડોમ બનાવવાની પ્રવૃત્તિ ફરી ફૂલી ફાલી છે. એથર ઈન્ડસ્ટ્રીઝ કંપનીનાં સચિન હોજીવાલા એસ્ટેટમાં આવેલાં વેરહાઉસ ખાતે પણ પતરાનો ગેરકાયદે ડોમ બનાવી ચારે બાજુથી પેક કરી દેવામાં આવ્યો હોવાનું જણાયું છે. જવલનશીલ કેમિકલનો સંગ્રહ કરવામાં આવતો હોવા છતાં પતરાનાં ડોમથી ટેરેસ પેક કરી દેતાં ફાયરબ્રિગેડનાં જવાનોને પાણીનો મારો કરવામાં પણ મુશ્કેલી પડી હતી. વેરહાઉસ ઉપરાંત આસપાસ આવેલી મોટાભાગની ઈમારતો ઉપર ગેરકાયદે ડોમ બનાવાયા હોવાનું દેખાઈ આવ્યું હતું. માલિકે ફાયર ઓફિસરને આગને કાબૂમાં લેતા નથી કહી બબાલ કરીએથર કંપનીમાં લાગેલી ભીષણ આગને કાબૂમાં લેવાની કામગીરી ચાલુ હતી ત્યારે કેમિકલ ભરેલા ડ્રમ બ્લાસ્ટ થવાના કારણે આગ વધુ વિકરાળ બની. બાજુની કંપનીમાં પણ પ્રસરી જતાં આગ લાગી હતી, તેનો માલિક ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર પ્રકાશ હેડવ પાસે આવ્યો હતો અને તમે લોકો જાણી જોઈને આગને કાબૂમાં લેતા નથી તેમ કહી બબાલ કરી હતી. જેથી, અન્ય ડિવિઝનલ અધિકારી તથા ફાયર ઓફિસરોએ દોડી આવી મામલો થાળે પાડ્યો હતો. મીલનું બે માળનું આખું સ્ટ્રક્ચર તૂટી પડતા અફરાતફરી મચી જવા પામી કેમિકલ ભરેલા ડ્રમમાં આગ લાગ્યા બાદ એક પછી એક મળી કુલ 30થી પણ વધારે બ્લાસ્ટ થયા હતા. જેના કારણે આગ વધુ વિકરાળ બની હતી. આ દરમિયાન કંપનીની બાજુમાં આવેલ શ્રી ગીતા ટિમ્બર પ્લાયવુડ અને શક્તિ પ્લાયવુડ કંપનીમાં પણ આગ પ્રસરી ગઈ હતી. આ ઉપરાંત બાજુમાં આવેલ બે અલગ-અલગ મિલ તથા એક રેસા બનાવવાનું ગોડાઉનમાં પણ આગ પ્રસરી ગઈ હતી. એથર કંપનીમાં કેમિકલના ડ્રમમાં બ્લાસ્ટ થતા સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. એથરના વેરહાઉસની બાજુમાં જ આવેલ એક મિલ પણ આગ પ્રસરી ગઈ હતી અને કેમિકલ ભરેલા ડ્રમ બ્લાસ્ટ થવાના કારણે મીલનું બે માળનું આખું સ્ટ્રક્ચર તૂટી પડતા અફરાતફરી મચી જવા પામી હતી. અગાઉ આગની ઘટનામાં 10થી વધુ નિર્દોષ લોકોનો ભોગ લેવાયો હતોસચિન GIDC વિસ્તારમાં આવેલ એથર ઈન્ડ્રસ્ટીઝ વિવાદનું પર્યાય બની ગઇ છે. કાયદાને ઘોળીને પી જનારા એથર કંપનીના સંચાલકો અગાઉ લાગેલી ભીષણ આગમાંથી પણ હજુ સુધી કંઈ શીખ્યા નથી. અગાઉ તારીખ 28 નવેમ્બર, 2023ના રોજ સચિન GIDCમાં આવેલ એથર ઈન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં 10થી વધુ નિર્દોષ લોકોનો ભોગ લેવાયો હતો. પોલીસે આ સમગ્ર કેસમાં કંપનીના સંચાલકો સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધવાના બદલે પોલીસ જ તેના ખોળામાં બેસી ગઈ હતી. જો કે આ ઘટનામાં પણ સંચાલકોની બેદરકારી સામે આવી હતી.
હિંમતનગરમાં પોલીસ ભરતી પ્રક્રિયા પૂર્ણ:51 દિવસમાં 66,980 ઉમેદવારોએ દોડ લગાવી
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે PSI અને લોકરક્ષકની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. 21 જાન્યુઆરી, 2026ના રોજ શરૂ થયેલી આ પ્રક્રિયા 12 માર્ચ, 2026ના રોજ સમાપ્ત થઈ. 51 દિવસ ચાલેલી આ ભરતી પ્રક્રિયામાં કુલ 66,980 ઉમેદવારોએ દોડ લગાવી હતી. ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં મહિલાઓના હસ્તે કેક કાપવામાં આવી હતી. ભરતી દરમિયાન ફરજ બજાવનાર કર્મચારીઓની કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ક્લોઝિંગ સેરેમનીમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, હેડક્વાર્ટર DYSP પાયલ સોમેશ્વર, ભરતી પ્રક્રિયાના SP અને DYSP, PI, PSI અને પોલીસકર્મીઓ સહિત એજન્સીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ પ્રસંગોચિત સંબોધન કર્યું હતું, અને આભાર વિધિ RPI પ્રદીપ પટેલે કરી હતી. હેડક્વાર્ટર DYSP પાયલ સોમેશ્વરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ભરતી પ્રક્રિયા દરરોજ વહેલી સવારે 3.45 વાગ્યે રજિસ્ટ્રેશન સાથે શરૂ થતી હતી. ત્યારબાદ ઉમેદવારોને પ્રવેશ આપીને દોડ, ઊંચાઈ અને છાતી સહિતની શારીરિક તપાસ કરવામાં આવતી હતી. હિંમતનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર 51 દિવસની આ પ્રક્રિયામાં 66,980 ઉમેદવારોએ PSI અને લોકરક્ષકની ભરતી માટે ભાગ લીધો હતો.
પેટલાદ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા ₹13 કરોડથી વધુના વિવિધ વિકાસકામોનું નાણા રાજ્ય મંત્રી કમલેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ એન.કે. હાઈસ્કૂલ પાસે આવેલા સરદાર ચોકમાં યોજાયો હતો. મંત્રી કમલેશ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોથી લઈને શહેરો સુધી સમાન વિકાસ માટે કટિબદ્ધ છે. તેમણે નગરપાલિકા દ્વારા શહેરીજનોની જરૂરિયાત મુજબના કામો કરવા બદલ સરાહનીય કામગીરી ગણાવી હતી. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ નવી સુવિધાઓને સાચવવી એ હવે નગરના નાગરિકોની નૈતિક જવાબદારી છે. લોકાર્પણ કરાયેલા પ્રકલ્પોમાં એન.કે. હાઈસ્કૂલ સ્ટેન્ડ, શેઠ નારણભાઈ પરીખની પ્રતિમાનું અનાવરણ, બ્યુટીફીકેશન સ્પોટ, આધુનિક ગાર્ડન, નવી આંગણવાડી, સ્ટ્રીટ લાઈટ અને પાણીની ટાંકીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિવિધ વિસ્તારોમાં સીસી રોડ, પેવર બ્લોક, વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેન, વડીલો માટે બેઠક વ્યવસ્થા અને અંતિમ વિસામો જેવા કામો પણ જનતા માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા અગ્રણી સંજય પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જય પટેલ, નગરપાલિકા પ્રમુખ જીગ્નેશ જોષી, શેઠ વ્રજેશભાઈ પરીખ, ઉપપ્રમુખ મનિષાબેન ચૌહાણ, ચીફ ઓફિસર કુણાલ પટેલ સહિતના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
વલસાડ નગરપાલિકા દ્વારા વર્ષ 2026-27 માટે રૂ. 165.77 કરોડની આવક સામે રૂ. 165.04 કરોડના ખર્ચનું પુરાંતલક્ષી બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આ બજેટમાં રૂ. 36.73 કરોડથી વધુની સિલક રહેવાનો અંદાજ છે, જે શહેરના વિકાસ કાર્યોને વેગ આપશે. આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે કુલ રૂ. 1,65,77,16,092 ની આવકનો અંદાજ છે. તેની સામે વિકાસલક્ષી અને વહીવટી ખર્ચ પેટે રૂ. 1,65,04,62,270 ફાળવવામાં આવ્યા છે. આ બજેટમાં તમામ ખર્ચ બાદ કરતાં વર્ષના અંતે પાલિકાની તિજોરીમાં રૂ. 36,73,44,938 ની સિલક રહેવાનો આશાવાદ વ્યક્ત કરાયો છે. વર્ષ 2025-26 ના સુધારેલા અંદાજ મુજબ, પાલિકાની મહેસુલી આવક, ડિપોઝીટ અને એડવાન્સ મળી કુલ રૂ. 116.42 કરોડ નોંધાઈ છે. તેની સામે રૂ. 100.74 કરોડનો ખર્ચ મંજૂર કરાયો છે. પાલિકાના ડેટા શીટ મુજબ, આવકના મુખ્ય સ્ત્રોતમાં મહેસુલી આવક (પાર્ટ 1-એ) સૌથી મોટો હિસ્સો ધરાવે છે, જે અંદાજે રૂ. 52.64 કરોડ રહેવાની શક્યતા છે. આ ઉપરાંત ગ્રાન્ટ અને અન્ય ફંડ દ્વારા પણ આવકનું લક્ષ્ય રખાયું છે. ખર્ચની વાત કરીએ તો, મહેસુલી ખર્ચ અને અન્ય વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ પાછળ મોટો હિસ્સો વાપરવાનું આયોજન છે. વલસાડ નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શહેરના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. પુરાંતવાળું બજેટ હોવાથી નગરજનોને સુવિધા આપવામાં આર્થિક સંકડામણ નડશે નહીં. આ બજેટને વલસાડ નગરપાલિકાના પ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન અને ચીફ ઓફિસર દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવી છે. આગામી દિવસોમાં આ બજેટ દ્વારા શહેરમાં રસ્તા, પાણી અને સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ વધુ સુદ્રઢ બનશે તેવી આશા સેવાઈ રહી છે.
સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી અને લૂંટફાટની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વધતી જતી મોંઘવારી અને ગેસના ભાવવધારા વચ્ચે હવે તસ્કરોની નજર લોકોના રસોડા સુધી પહોંચી છે. પુણાગામ વિસ્તારમાં એક શાકભાજી વિક્રેતાના બંધ ઘરને નિશાન બનાવી ચોરોએ લાખોની મત્તા સાથે ગેસનો બાટલો પણ ચોરી લીધો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શું છે સમગ્ર ઘટના?મળતી માહિતી પ્રમાણે, મૂળ સુરેન્દ્રનગરના વતની અને હાલ સુરતના પુણાગામ સ્થિત આશાનગર ઝુપડપટ્ટીમાં રહેતા જીવણભાઈ બચુભાઈ વાઘેલા શાકભાજી વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત રોજ જ્યારે તેઓ પોતાના રોજગાર માટે બહાર ગયા હતા અને ઘર બંધ હતું ત્યારે અજાણ્યા તસ્કરોએ તકનો લાભ ઉઠાવ્યો હતો. ચોરોએ ઘરના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરી ફંફોસીને તેમાં રાખેલા કિંમતી સામાન પર હાથ સાફ કર્યો હતો. 1.65 લાખના દાગીનાની ચોરી થઈતસ્કરો ઘરમાંથી સોના ચાંદીના દાગીના, રોકડા અને ગેસ સિલિન્ડર ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જેમાં સોના-ચાંદીના દાગીના અંદાજે 1.64 લાખની કિંમતના, 30,000 રોકડા, એચપી (HP) કંપનીનો ભરેલો ગેસનો બાટલો (કિંમત અંદાજે 1,000) મળી અંદાજે કુલ 1.95 લાખનો સમાવેશ થાય છે. વધતા ભાવ વચ્ચે 'ગેસ સિલિન્ડર' પણ સુરક્ષિત નથીઆ ઘટનામાં સૌથી વધુ ચર્ચાસ્પદ બાબત એ છે કે તસ્કરો સોના-ચાંદી અને રોકડની સાથે ભરેલો ગેસનો સિલિન્ડર પણ ઉઠાવી ગયા છે. શહેરમાં ગેસના વધતા ભાવ અને સામાન્ય માણસની આર્થિક ખેંચતાણનો ફાયદો ઉઠાવવા હવે તસ્કરો આવી ઘરવખરીની વસ્તુઓ ચોરતા પણ અચકાતા નથી. તસ્કરોનું પગેરું દબાવવા તજવીજ શરૂજીવણભાઈએ આ મામલે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 1.95 લાખની ચોરીનો ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ઘટના એ વાતનો સંકેત છે કે, હવે રહેણાંક વિસ્તારોમાં સુરક્ષા અને પોલીસ પેટ્રોલિંગ વધારવું અનિવાર્ય બન્યું છે. પોલીસે હાલ આસપાસના CCTV અને બાતમીદારોના આધારે તસ્કરોનું પગેરું દબાવવા તજવીજ શરૂ કરી છે.
સાબરકાંઠા LCBએ હિંમતનગરની AR કન્સલ્ટન્સી પોન્ઝી સ્કીમના મુખ્ય આરોપી અજયસિંહ રજુસિંહ મકવાણાને તલોદના પોયડા ગામેથી ઝડપી પાડ્યો છે. આ આરોપી હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને CID ક્રાઈમ ગાંધીનગર ઝોન એના GPID એક્ટ તથા પ્રોહિબિશન એક્ટ સહિત ત્રણ ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી વોન્ટેડ હતો. તેને હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. સાબરકાંઠા LCBના PI ડી.સી. સાકરિયાએ આપેલી માહિતી મુજબ, PSI આર.જે. જાડેજા, ટેકનિકલ ASI હરેશ પ્રજાપતિ અને પોલીસ સ્ટાફની ટીમે વોન્ટેડ આરોપીઓની તપાસ હાથ ધરી હતી. તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, હિંમતનગરમાં રહેતો અજયસિંહ મકવાણા તલોદના પોયડા ગામે તેના જીજાજીના ઘરે આવ્યો છે. આ બાતમીના આધારે LCB ટીમે સ્થળ પર પહોંચીને અજયસિંહ મકવાણાને ઝડપી લીધો હતો. LCB કચેરીમાં પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપી અજયસિંહ હિંમતનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોન્ઝી સ્કીમ ફ્રોડનો મુખ્ય આરોપી છે. આ ઉપરાંત, તે હિંમતનગર એ ડિવિઝનના પ્રોહિબિશન ગુના અને CID ક્રાઈમ ગાંધીનગર ઝોન એના GPID એક્ટના ગુનામાં પણ છેલ્લા પાંચ મહિનાથી નાસતો ફરતો હતો. હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PI પી.એમ. ચૌધરીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હિંમતનગરમાં સહકારી જીન રોડ પર આવેલા પ્રથમ સ્ક્વેરમાં AR કન્સલ્ટન્સી નામની પોન્ઝી સ્કીમ દ્વારા ત્રણ કરોડ રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાત આચરવામાં આવ્યો હતો. આ અંગે ઓક્ટોબર 2025 માં ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં અગાઉ બેરજુસિંહ લાલસિંહ મકવાણા અને હરેશકુમાર જગદીશચંદ્ર સાધુની ધરપકડ કરવામાં આવી હતી. હવે મુખ્ય આરોપી અજયસિંહ રજુસિંહ મકવાણાની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સાયબર ફ્રોડનો આરોપી પાટણથી ઝડપાયો:LCB એ હિંમતનગર B-ડિવિઝન કેસમાં ફરાર જયરામ ઠક્કરને પકડ્યો
સાબરકાંઠા LCB એ હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાયબર ફ્રોડના ગુનામાં ત્રણ મહિનાથી ફરાર આરોપીને પાટણથી ઝડપી પાડ્યો છે. આરોપીને બી-ડિવિઝન પોલીસને સોંપવામાં આવતા, SOG એ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સાબરકાંઠા LCB PI ડી.સી. સાકરિયાએ આપેલી માહિતી મુજબ, LCB ટીમના જશુભાઈ અને જયદેવસિંહને બાતમી મળી હતી. આ બાતમીના આધારે, હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડના ગુનામાં ત્રણ મહિનાથી નાસતા ફરતા આરોપી જયરામભાઈ ઉર્ફે ભુવાજી દિનેશભાઈ ઠક્કર (ઉંમર ૩૮) પાટણ ખાતે તેના ઘરે હાજર હોવાની ચોક્કસ માહિતી મળી હતી. આ માહિતી મળતા જ LCB ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જયરામભાઈ ઉર્ફે ભુવાજી દિનેશભાઈ ઠક્કરને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેને આગળની કાર્યવાહી માટે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. આ કેસમાં હવે SOG દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
મોરબીમાં ગેસના અભાવે 200 સિરામિક કારખાના બંધ:ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસરથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઠપ્પ
મોરબીમાં છેલ્લા એક સપ્તાહથી પ્રોપેન ગેસની અછતને કારણે આશરે 200 સિરામિક કારખાના બંધ થઈ ગયા છે. આના પરિણામે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર ગંભીર અસર પડી છે, અને દિવસ-રાત ધમધમતા મોરબીના માર્ગો સૂમસામ બન્યા છે. મોરબી અને આસપાસના વિસ્તારોમાં લગભગ 800 સિરામિક કારખાના કાર્યરત છે. આ કારખાનાઓ માટે કાચો માલ લાવવા અને તૈયાર માલનું પરિવહન કરવા માટે હજારો ટ્રકોની અવરજવર રહેતી હતી. જોકે, ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધને કારણે પ્રોપેન ગેસની સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. ગેસની અછતને કારણે પ્રોપેન આધારિત 200 જેટલા સિરામિક કારખાનાઓ બંધ થતાં માલનું પરિવહન પણ અટકી ગયું છે. આ સ્થિતિની સીધી અસર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર પડી છે, જેના કારણે ટ્રકોના પૈડા થંભી ગયા છે. મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ પ્રભાતભાઈ ડાંગરે જણાવ્યું હતું કે, મોરબીમાં દરરોજ 8 થી 9 હજાર ટ્રકોની અવરજવર થતી હતી, જે સિરામિક ઉદ્યોગ માટે કાચો માલ પહોંચાડવા અને તૈયાર માલ લઈ જવા માટે ઉપયોગી હતી. કારખાનાઓ બંધ થતાં વાહનોની અવરજવર ઘટી ગઈ છે, જેનાથી ડ્રાઈવર અને ક્લીનરની રોજગારી પર પણ પ્રશ્નાર્થ ઊભો થયો છે. રાજસ્થાનના ટ્રાન્સપોર્ટરો શુભકર્મ બિશ્નોઈ અને શુભેન્દર કુશવાલે જણાવ્યું કે, યુદ્ધને કારણે ગેસ મળતો બંધ થતાં કારખાનાઓ બંધ થયા છે અને ટ્રકોના પૈડાં થંભી ગયા છે. માર્ચ એન્ડિંગ હોવાથી ટ્રાન્સપોર્ટરોને બેંક લોનના હપ્તા, વાહનોનો વીમો અને ડ્રાઈવર-ક્લીનરના પગાર જેવા ખર્ચાઓ ભરવામાં મુશ્કેલી પડશે.જો આ પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને મોટો આર્થિક ફટકો પડશે અને ગંભીર આર્થિક સંકટનો સામનો કરવો પડશે. તેમણે ઉમેર્યું, મોરબીનો સિરામિક ઉદ્યોગ બંધ થઈ જશે તેવી કોઈએ કલ્પના પણ કરી ન હતી એટલા જ માટે રાજસ્થાન અને દેશના જુદાજુદા રાજ્યોમાંથી ઘણા ટ્રાન્સપૉર્ટર દ્વારા તેઓના ટ્રકમાં રો મટિરિયલ્સ ભરીને મોરબી તેના વાહનને મોકલાવવામાં આવ્યા હતા જો કે, મોરબીમાં ટ્રકો આવી ત્યાં અહી સિરામિક કારખાના બંધ થઈ ગયા છે જેથી બીજા રાજ્યોમાંથી આવેલા ઘણા ડ્રાઈવરો છેલ્લા એક સપ્તાહથી મોરબીમાં ફસાઈ ગયા છે અને હવે કયારે કારખાના ચાલુ થશે અને કયારે તેઓના ટ્રક દોડતા થશે તે અંગેની તેઓને પણ કાશી જ ખબર નથી.
ઈન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલ, ગુજરાત દ્વારા મોરેશિયસ દિવસ ઉજવણી કરવામાં આવી હતી અને મોરેશિયસ ધ ગેટવે ટુ આફ્રિકા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારત અને મોરેશિયસ વચ્ચેના મજબૂત ઐતિહાસિક, સાંસ્કૃતિક, આર્થિક અને વ્યૂહાત્મક સંબંધો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. મોરેશિયસ આફ્રિકાનું પ્રવેશદ્વાર હોવાથી, મોરેશિયસ દ્વારા આફ્રિકન બજારોમાં ભારતીય ઉદ્યોગોના વિસ્તરણની વધતી તકો પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન, ICTC ગુજરાતે 16 માર્ચથી 20 માર્ચ 2026 દરમિયાન ભારત - મોરેશિયસ બિઝનેસ ડેલિગેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી, જે મોરેશિયસ અને આફ્રિકન બજારોમાં ફિનટેક, રિન્યુએબલ એનર્જી, ફાર્માસ્યુટિકલ્સ, એગ્રો પ્રોસેસિંગ, ટેક્સટાઇલ, રસાયણો, એન્જિનિયરિંગ અને આરોગ્યસંભાળ જેવા ભારતીય સાહસોને માળખાગત જોડાણની સુવિધા આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને આખરે વ્યૂહાત્મક ભાગીદારી અને રોકાણો માટે માર્ગ ખોલશે. આ કાર્યક્રમનું એક વ્યૂહાત્મક આકર્ષણ ગુજરાત ટુરિઝમ તરફથી મળેલ માન્યતા હતી, જ્યાં ગુજરાત ટુરિઝમે મોરેશિયસ અને દક્ષિણ આફ્રિકામાં ગુજરાત ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે ICTC પ્રતિનિધિમંડળને સત્તાવાર આઉટરીચ પાર્ટનર તરીકે અધિકૃત કર્યું છે. આ કાર્યક્રમની અધ્યક્ષતા ઇન્ડિયા કોમન વેલ્થ ટ્રેડ સેન્ટરના ગુજરાત ચેપ્ટરના ચેરમેન વિરલ ચૌધરીએ કરી હતી. ચૌધરીએ ભારત અને કોમનવેલ્થ દેશો વચ્ચે વેપારને સરળ બનાવવા, અંતર દૂર કરવા અને કોમનવેલ્થ બજારોમાં ગુજરાત સ્થિત ઉદ્યોગોને સ્થાન આપવા માટે ICTC ની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે સમગ્ર આફ્રિકામાં વિસ્તરણ કરવા માંગતા ભારતીય વ્યવસાય માટે વિશ્વસનીય અને વ્યૂહાત્મક પ્રવેશ બિંદુ તરીકે મોરેશિયસના વ્યૂહાત્મક મહત્વનો ઉલ્લેખ કર્યો હતો. ઇન્ડિયા કોમન વેલ્થ ટ્રેડ સેન્ટરના ગુજરાત ચેપ્ટરના ચેરમેન વિરલ ચૌધરીએ જણાવ્યું હતું કે, અત્યારે વૈશ્વિક સ્તરે યુદ્ધ અને અન્ય પડકારોને કારણે ટૂંકા ગાળામાં નુકસાન થવાની સંભાવના છે. જો તમે છેલ્લા એક મહિનાના સમાચાર જોશો, તો કેનેડાએ પણ આફ્રિકન દેશો માટે એક વિશાળ એક્ઝિબિશન કર્યું છે. ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પણ થોડા સમય પહેલા નિવેદન આપ્યું હતું કે યુરોપિયન યુનિયન આફ્રિકન દેશો સાથે વિકાસના ભાગીદાર તરીકે જોડાવવા માંગે છે. આનો અર્થ એ છે કે આખું વિશ્વ હવે આફ્રિકાને એક મોટી બિઝનેસ તક તરીકે જોઈ રહ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કોમનવેલ્થમાં કુલ 56 દેશો છે. જેમાં ભારત ઉપરાંત કેનેડા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને યુકે જેવા પાંચ મોટા દેશો છે. આ સિવાય ઘણા નાના દેશો પણ છે જેમની સાથે આપણે મોટો વ્યાપાર કરી શકીએ છીએ. ભારતની નીતિ હવે માત્ર મોટા દેશો સુધી મર્યાદિત નથી, પણ આપણે નાના દેશો સાથે પણ હાથ મિલાવીને આગળ વધી રહ્યા છીએ. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇથોપિયા અને મલેશિયા જેવા દેશોની મુલાકાતે જઈ રહ્યા છે. જે દેશોને નકશા પર શોધવા પડે તેવા નાના દેશો સાથે પણ ભારત મજબૂત સંબંધો બાંધી રહ્યું છે. વર્ષ 2047 સુધીમાં ભારતને ‘વિકસિત રાષ્ટ્ર’ બનાવવાના લક્ષ્યમાં આ નાના દેશો સાથેના સંબંધો ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે. તેઓએ વધુમાં કહ્યું કે, મોરેશિયસ એ એક એવો દેશ છે જ્યાં લગભગ 75% વસ્તી ભારતીય મૂળની છે. આથી, મોરેશિયસને આપણે 'બીજું ભારત' પણ કહી શકીએ. હાલમાં મોરેશિયસ દિવસની ઉજવણી થઈ રહી છે અને તેના ઉપલક્ષમાં અમે ત્યાં એક ખાસ ડેલિગેશન લઈને જઈ રહ્યા છીએ. મોરેશિયસનું મહત્વ ખૂબ વધારે છે. તેને 'ગેટવે ટુ આફ્રિકા' તરીકે ઓળખવામાં આવે છે. મોરેશિયસના આફ્રિકન દેશો સાથે અનેક વ્યાપારી કરારો છે, જેનો લાભ લઈને ભારતીય કંપનીઓ આફ્રિકન માર્કેટમાં પ્રવેશી શકે છે. ઘણી ભારતીય કંપનીઓએ તો ત્યાં પોતાની ઓફિસ પણ સ્થાપી દીધી છે. તેઓએ કહ્યું કે, અમારો હેતુ ગુજરાતના MSME સેક્ટરને દક્ષિણ આફ્રિકાના બજારો સુધી પહોંચાડવાનો છે. આફ્રિકામાં મેન્યુફેક્ચરિંગ બેઝ બહુ ઓછો છે અને તેઓ આયાત પર નિર્ભર છે. ત્યાં ચીન અને ભારત તેમના મુખ્ય પાર્ટનર છે. અમે 20 જેટલા ઉદ્યોગકારોનું ડેલિગેશન લઈને જઈ રહ્યા છીએ અને ત્યાંના ઈકોનોમિક ડેવલપમેન્ટ બોર્ડ તથા અન્ય સંસ્થાઓ સાથે MOU સાઈન કરીશું. તેઓએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આફ્રિકન દેશોને G20 ના સભ્ય બનાવ્યા ત્યારથી ભારત પ્રત્યે તેમનો વિશ્વાસ વધ્યો છે. અગાઉ પણ અમારા 15 સભ્યોનું ડેલિગેશન કેન્યા ગયું હતું અને ત્યાંથી તમામને ઓર્ડર મળ્યા છે. અમને આશા છે કે આ પ્રવાસથી પણ આપણા ઉદ્યોગકારોને સારા એવા બિઝનેસ ઓર્ડર મળશે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. વેરાવળ નજીકના આજેઠા ગામના એક યુવક વિરુદ્ધ પીડિત યુવતીની ફરિયાદના આધારે વેરાવળ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ, આરોપી યુવક અને પીડિત યુવતી વચ્ચે સ્નેપચેટ મારફતે ઓળખાણ થઈ હતી. આ ઓળખાણ મિત્રતામાં પરિણમી હતી, જેનો લાભ લઈ આરોપીએ યુવતીને વિશ્વાસમાં લીધી હતી. યુવતીએ આક્ષેપ કર્યો છે કે આરોપી તેને વેરાવળ શહેરની એક ખાનગી હોટેલમાં લઈ ગયો હતો, જ્યાં તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પણ આરોપી યુવક દ્વારા યુવતી પર દબાણ અને ત્રાસ આપવાનું ચાલુ રહ્યું હતું. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપી યુવતીને સાસણ ગીર વિસ્તારમાં આવેલા ‘સ્પ્રિંગ ફિલ્ડ’ નામના ફાર્મ હાઉસમાં લઈ ગયો હતો અને ત્યાં તેને માર માર્યો હતો. આરોપીએ યુવતી તથા તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનો આક્ષેપ છે. આ સમગ્ર મામલે પીડિત યુવતીએ વેરાવળ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે તેની વિગતવાર ફરિયાદ નોંધી, જેના આધારે આરોપી યુવક વિરુદ્ધ દુષ્કર્મ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, વેરાવળ પોલીસે ફરાર આરોપીની ધરપકડ કરવા માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસની અલગ અલગ ટીમો દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં સોશિયલ મીડિયા મારફતે થતાં સંબંધો અને યુવતીઓની સુરક્ષા અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. વેરાવળ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સુરતના પ્રવેશ દ્વાર સમાન વરાછા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વહીવટી તંત્ર અને પાથરણાવાળાઓ વચ્ચે ભારે ઘર્ષણની સ્થિતિ જોવા મળી રહી છે. ધારાસભ્ય કુમાર કાનાણીની આકરી રજૂઆત બાદ સુરત મહાનગરપાલિકાએ વરાછા બ્રિજ નીચેથી દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરી હતી. તંત્ર દ્વારા પાથરણાવાળાનો તમામ સામાન ભરી લેતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે તમામ પાથરણાવાળા અને નાના વેપારીઓએ મળીને રેલી કાઢી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. મ્યુ. કમિશનર સામે પાથરણાવાળાએ વ્યથા ઠાલવીભારતીય પથવિક્રેતા મહાસંઘના નેજા હેઠળ આજે મોટી સંખ્યામાં પાથરણાવાળાઓ અને નાના વેપારીઓ એકઠા થયા હતા. બરોડા પ્રિસ્ટેજ વિસ્તારથી તમામે રેલી કાઢી હતી અને ‘અમે અમારો હક માંગીએ છીએ, ભીખ નહિ’, ‘સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ લાગુ કરો’ના નારા લગાવ્યા હતાં. આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. આ રેલી મનપાની મુખ્ય કચેરીએ પહોંચી હતી અને મ્યુનિસિપલ કમિશનરને મળીને પોતાની વ્યથા ઠાલવી હતી. મોટા માથાઓ સામે કાર્યવાહી ન થતાનો આક્ષેપમ્યુનિસિપલ કમિશનર સમક્ષ પાથરણાવાળાએ માગ કરી હતી કે, જો તેમને બ્રિજ નીચેથી હટાવવામાં આવે તો તેમને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે અથવા ચોક્કસ સમયે ધંધો કરવાની છૂટ આપવામાં આવે. આ સાથે શ્રમિકોએ આક્ષેપ કર્યો હતો કે, મોટા માથાઓ સામે કાર્યવાહી કરવાને બદલે તંત્ર માત્ર ગરીબ પાથરણાવાળાઓને નિશાન બનાવી રહ્યું છે. અમે છેલ્લા 20થી 25 વર્ષથી આ જ જગ્યાએ બેસીને ધંધો કરી રહ્યા છે. SMCના અધિકારીઓ દ્વારા અચાનક કરવામાં આવતી કાર્યવાહીથી તેમની રોજીરોટી છીનવાઈ ગઈ છે. અધિકારીઓ દ્વારા કરવામાં આવતી હેરાનગતિ અને માલ-સામાનની જપ્તીને કારણે તેમના પરિવારો ભૂખે મરવાની નોબત આવી છે. સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ હેથળ પાલિકાએ 10 વર્ષમાં કઈ નથી કર્યુઃ જય વ્યાસભારતીય પથવિક્રેતા મહાસંઘના જય વ્યાસે જણાવ્યું હતું કે, અમારું સંગઠન આખા દેશમાં લારી-ગલ્લા અને પથારાવાળાના અધિકાર માટે લડી રહ્યું છે. 2014માં સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ (પથવિક્રેતા કાનૂન) કાયદો આવ્યો હતો. આ કાયદામાં પથારાવાળા અને લારી-ગલ્લાવાળાઓની વ્યવસ્થા કેવી રીતે કરવી તેના વિશે લખાયેલું છે અને આ પ્રમાણે 11 વર્ષમાં સુરત મહાનગરપાલિકાએ આજ સુધી કશું કર્યું નથી. આમાંથી 90%માંથી 10% પણ કામ કર્યું નથી. ‘સંવિધાનની નીચે બનેલા કાનૂનને કમિશનર તમે માનો છો કે નહિ?’ આ મામલે સર્વે પણ થઈ ચૂક્યો છે અને આમાંથી મોટાભાગના લોકોનું નામ પણ છે. આ લોકોની પાસે ઓળખપત્ર પણ છે, જેને નજરઅંદાજ કરીને, જોયા વગર SMC ગુંડાની જેમ પોલીસને લઈ બધા પર રોજ હુમલો કર્યા કરે છે. પોટલાં બાંધે રોજ અને રોજ પૈસા ખાય છે. આ બધી દમનગીરીથી અમે બચવા માટે અમારા કાનૂનનો અમલ માંગી રહ્યા છીએ. આજે વરાછાથી મ્યુનિસિપલ કમિશનર પાસે જઈ રહ્યા છીએ કે, ભાઈ તમે આ કાનૂનનો અમલ કરો. 'અમારા ગરીબની હાય લાગશે', શાકભાજીની લારી ચલાવતી મહિલાઓની આજીજી કુમાર કાનાણીએ શું રજૂઆત કરી હતી?મહાનગરપાલિકામાં મળેલી સંકલન સભામાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ અધિકારીઓનો ઉધડો લીધો હતો. તેમણે વરાછા બ્રિજ નીચે અને વલ્લભાચાર્ય રોડ પર વધતા જતા દબાણો તેમજ ત્યાં ફૂલીફાલી રહેલી અસામાજિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉગ્ર સવાલો કર્યા હતા. કાનાણીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, બ્રિજ નીચે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકોને કારણે સામાન્ય જનતા અને ટ્રાફિક વ્યવસ્થાને ભારે નુકસાન થઈ રહ્યું છે. તેમણે તંત્રને તાત્કાલિક દબાણો દૂર કરવા જણાવ્યું હતું. ધારાસભ્યની આ રજૂઆત બાદ પાલિકાની દબાણ હટાવવાની ટીમ પોલીસ કાફલા સાથે મેદાનમાં ઉતરી હતી. છેલ્લા બે દિવસમાં વરાછા રોડ, બરોડા પ્રિસ્ટેજ, અને સાર્થણા સુધીના વિસ્તારમાં ફ્લાયઓવર નીચે રહેતા 250 થી વધુ લોકોને હટાવવામાં આવ્યા છે. મનપા દ્વારા અનેક ટ્રક ભરીને પાથરણાવાળાઓનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. આ કામગીરીને કારણે વરાછા મેઈન રોડ પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
તાપી જિલ્લાના નિઝર-ઉચ્છલ રોડ પર સોલાર પ્લાન્ટ સામે બે મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ચાર વ્યક્તિઓના મોત થયા હતા, જેમાં ધોરણ-12ની પરીક્ષા આપીને પરત ફરી રહેલા ત્રણ મિત્રોનો સમાવેશ થાય છે. ટક્કર એટલી જોરદાર હતી કે એક બાઇકમાં આગ લાગી હતી અને મૃતદેહો ક્ષતવિક્ષત થઈ ગયા હતા મૃતકોમાં કુકરમુંડા તાલુકાના ગંગથા ગામના અનિકેત રેહમતસિંગ વસાવે (20), અભિજીત મંગલસિંગ વસાવે (18) અને બોરીકુવા ગામના તેમના મિત્ર પિયુષ રાજુભાઈ વળવીનો સમાવેશ થાય છે. આ ત્રણેય મિત્રો ધોરણ-12ની પરીક્ષા આપીને સ્પ્લેન્ડર બાઇક (MH-39-E-8660) પર નિઝરથી વેલદા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન નિઝરથી એક કિલોમીટર દૂર સોલાર પ્લાન્ટ સામે વેલદા તરફથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી પલ્સર બાઇક (MH-39-AP-6513) ના ચાલક નારસિંગ સોન્યા વળવી (રહે. મહારાષ્ટ્ર) એ સ્પ્લેન્ડર બાઇકને અડફેટમાં લીધી હતી. આ અકસ્માતમાં સ્પ્લેન્ડર ચાલક અનિકેત અને પાછળ બેઠેલા અભિજીતને માથાના તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માત સર્જનાર પલ્સર ચાલક નારસિંગ વળવીને પણ માથામાં ગંભીર ઇજા થતાં તેનું પણ ઘટનાસ્થળે જ મોત થયું હતું. બાઇક પર સવાર અન્ય મિત્ર પિયુષ વળવીને ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર માટે ખસેડાયો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું પણ મોત થયું હતું. મૃતકોના પોસ્ટમોર્ટમ બાદ તેમના મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા, જે બાદ તેમની અંતિમક્રિયા કરવામાં આવી હતી. નિઝર પોલીસે આ મામલે મૃતક પલ્સર ચાલક નારસિંગ વળવી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૨૮૧, ૧૦૬(૧), ૧૨૫(A)(B) તથા એમ.વી. એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બિનશૈક્ષણિક સ્ટાફની 59 જગ્યાઓ પરની ભરતીમાં વિવાદ સામે આવ્યો છે. નોન ટીચિંગ સ્ટાફની ભરતી માટે 16 મી માર્ચે લેખિત પરીક્ષા યોજાનારી છે ત્યારે તેમાં અનામત કેટેગરીના ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો હોય NSUI ના નેશનલ કો ઓર્ડીનેટર દ્વારા ભરતી પ્રક્રિયા સ્થગિત કરવા માટે યુનિવર્સિટીના રજીસ્ટ્રારને પત્ર લખ્યો છે. જો અનામતની અમલવારી વિના ભરતી પ્રક્રિયા આગળ વધશે તો કાનૂની રાહે લડત ચલાવવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. આ સાથે જ 16 માર્ચના યોજાનારી આ પરીક્ષાને લઈ યુનિવર્સિટી દ્વારા હોલ ટિકિટ જનરેટ કરી દેવામાં આવી છે. જોકે તેમાં 142 ઉમેદવારોએ ફી ભર્યા બાદ ફાઇનલ સબમિશન ન કરતા તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. આ ઉપરાંત MCQ પધ્ધતિથી ખાનગી એજન્સી મારફત લેવાનારી આ પરીક્ષામાં OMR આન્સર સીટમાં બારકોડ લગાવવાનો ન હોવાથી ગેરરીતિની શંકા વ્યક્ત થઈ રહી છે. NSUI ના નેશનલ કો ઓર્ડીનેટર ભાવિક સોલંકીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટ્રારને કરેલી રજૂઆતમાં જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા. 19/12/2025 ના રોજ જાહેર કરાયેલી નોન ટીચિંગ સ્ટાફની ભરતીની જાહેરાતનું વિગતવાર અભ્યાસ કરતાં એવું સ્પષ્ટ જણાય છે કે ભારતના બંધારણ હેઠળ લાગુ પડતી અનામત નીતિ તથા ગુજરાત સરકારના લાગુ નિયમોનું યોગ્ય પાલન કરવામાં આવ્યું નથી. ખાસ કરીને કેડર (Cadre) ની યોગ્ય નિર્ધારણા તથા રોસ્ટર આધારિત અનામતના અમલીકરણ બાબતે ગંભીર ભૂલો જોવા મળે છે.મારી માગણી છે કે નીચે દર્શાવેલ મુદ્દાઓને ધ્યાનમાં લઈ ભરતી પ્રક્રિયાની તાત્કાલિક સમીક્ષા કરી અને જરૂરી હોય તો પ્રક્રિયા સ્થગિત કરવામાં આવે. 1. અનામત અંગેનો બંધારણીય અને કાનૂની જોગવાઈઓ સરકારી તથા સરકારી અનુદાનિત સંસ્થાઓમાં ભરતી પ્રક્રિયા માટે અનામત નીતિ નીચેના કાયદાકીય પ્રાવધાનો હેઠળ અમલમાં આવે છે.ભારતના બંધારણનો કલમ 14 – સમાનતાનો અધિકાર, ભારતના બંધારણનો કલમ 16(1)– સરકારી રોજગારમાં સમાન અવસર, ભારતના બંધારણનો કલમ 16(4) – સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને અનામત આપવા માટેની જોગવાઈ, ગુજરાત સરકારની અનામત નીતિ તથા Cadre Based Roster System. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે R.K. Sabharwal v. State of Punjab (1995) 2 SCC 745 ના સ્પષ્ટ જણાવ્યું છે કે, અનામતનો અમલ કેડરની કુલ શક્તિ (Cadre Strength) ના આધારે થવો જોઈએ અને માત્ર ખાલી જગ્યાઓના આધારે નહીં. આ ઉપરાંત Union of India v. Virpal Singh Chauhan (1995) 6 SCC 684 માં પણ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, અનામતનો અમલ યોગ્ય રીતે નિર્ધારિત કેડર અને રોસ્ટર પોઈન્ટ્સના આધારે જ થવો જોઈએ. આથી જ્યાં એક જ કેડરની એકથી વધુ જગ્યાઓ હોય ત્યાં કુલ કેડર શક્તિ ગણવી અને ત્યારબાદ અનામત રોસ્ટર લાગુ કરવો કાયદેસર ફરજિયાત છે. 2. સમાન કેડરની જગ્યાઓને અલગ બતાવી અનામત ટાળવાનો પ્રયાસ જાહેરાત જોતા જણાય છે કે, કેટલીક જગ્યાઓ સમાન હોદ્દો, સમાન પગારધોરણ. સમાન વર્ગીકરણ અને સમાન પ્રકારની ફરજો ધરાવતી હોવા છતાં વિભાગ પ્રમાણે અલગ બતાવવામાં આવી છે. જેના કારણે અનામત રોસ્ટરનો યોગ્ય અમલ થતો નથી.આ પ્રથા R.K. Sabharwal કેસના સિદ્ધાંતોના વિરુદ્ધ છે. નીચે દર્શાવેલ જગ્યાઓ વાસ્તવમાં એક જ કેડરની જગ્યાઓ ગણાય તેવી છે. જેમાં લેબોરેટરી આસિસ્ટન્ટની 8, સ્ટોર કીપરની 3, લેબોરેટરી ટેકનીશ્યનની 3, ટેકનિકલ આસિસ્ટન્ટ કેડરની 2 માં કેડર આધારિત અનામતની સમીક્ષા જરૂરી બને છે. 3. અનામત ન લાગુ કરવાની કાનૂની અસરો જો કેડર આધારિત અનામત લાગુ કરવામાં નહીં આવે તો તે નીચે મુજબના બંધારણીય સિદ્ધાંતોનો ભંગ કરે છે. જેમાં ભારતના બંધારણનો કલમ 14, કલમ 16, રાજ્યની અનામત નીતિના ઉદ્દેશનો ભંગ છે. સુપ્રીમ કોર્ટે અનેક ચુકાદાઓમાં જણાવ્યું છે કે કેડર નિર્ધારણમાં કૃત્રિમ વિભાજન કરીને અનામત નીતિને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કાયદેસર નથી. ઉપરોક્ત કાનૂની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ વિનંતી છે કે, ઉપર દર્શાવેલ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા તાત્કાલિક સ્થગિત કરવામાં આવે, સંબંધિત કેડરની કુલ કેડર શક્તિનું યોગ્ય નિર્ધારણ કરવામાં આવે, ગુજરાત સરકારની અનામત નીતિ મુજબ કેડર આધારિત રોસ્ટર લાગુ કરવામાં આવે, અનામત રોસ્ટર પ્રમાણે નવી સુધારેલી ભરતી જાહેરાત બહાર પાડવામાં આવે, આ પ્રતિનિધિત્વ અંગે યોગ્ય નિર્ણય લઇ જાણ કરવામાં આવે. જો ભરતી પ્રક્રિયા ઉપરોક્ત કાનૂની ખામીઓ દૂર કર્યા વગર આગળ વધારવામાં આવશે તો યોગ્ય ન્યાયિક મંચ સમક્ષ બંધારણીય અધિકારોના અમલ માટે કાનૂની કાર્યવાહી કરવાનો અધિકાર અનામત રહેશે. નોન-ટીચિંગની 59 જગ્યા માટે 1400 ઉમેદવારો મેદાનમાં, 16 માર્ચે પરીક્ષા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નોન-ટીચિંગની કાયમી જગ્યા ભરવા માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં યુનિવર્સિટીના રિક્રૂટમેન્ટ સેલ દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાત ક્રમાંક RC/21/2025 થી RC/44/2025 હેઠળની કુલ 59 જગ્યાઓ માટે ઉમેદવારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે અને કુલ 1400 ફોર્મ ભરાયા છે. હવે આ ઉમેદવારો વચ્ચે સીધી સ્પર્ધા જોવા મળશે. ભરતી માટેની લેખિત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. જે મુજબ, સૌ પ્રથમ પરીક્ષા-A યોજવામાં આવશે, જે તારીખ 16-03-2026 (સોમવાર) ના રોજ લેવામાં આવશે. આ પરીક્ષા OMR આધારિત રહેશે. પરીક્ષા-A 100 ગુણની રહેશે. જેમાં નેગેટિવ માર્કિંગની પદ્ધતિ રાખવામાં આવી છે. નેગેટિવ માર્કિંગના નિયમ અનુસાર 0.25 ગુણ પ્રતિ ખોટા જવાબ દીઠ કાપવામાં આવશે. સરળ શબ્દોમાં કહીએ તો જો કોઈ ઉમેદવારના 4 પ્રશ્નોના જવાબ ખોટા પડે તો સાચા જવાબોમાંથી 1 ગુણ ઓછો થશે. પરીક્ષા-A માં પાસ થનારા અથવા લાયક ઠરનારા ઉમેદવારો માટે ત્યારબાદ પરીક્ષા-B નું આયોજન કરવામાં આવશે. પરીક્ષા-B માટેની સંભવિત તારીખ 26-03-2026 (રવિવાર) નક્કી કરવામાં આવી છે, જે પણ OMR પદ્ધતિથી લેવામાં આવશે. વર્ગ-3 (લેવલ 7 કે તેથી નીચે) ની આ જગ્યાઓ માટેની પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ યુનિવર્સિટીની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારોને પરીક્ષા માટેના હોલ-ટિકિટ તેમના ઈ-મેઈલ અથવા લોગિન આઈડી પર મોકલી આપવામાં આવી છે. પરીક્ષા ફી ભર્યા બાદ ફાઇનલ સબમિટ ન કરતા 142 ઉમેદવારો ગેરલાયક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બિન શૈક્ષણિક કર્મચારીઓની અલગ અલગ સંપર્કની ભરતી માટેની લેખિત પરીક્ષા 16મી માર્ચે યોજાનાર છે ત્યારે તેમાં પરીક્ષા આપનારા ઉમેદવારોની હોલ ટિકિટ જનરેટ કરવામાં આવી છે જોકે 142 ઉમેદવારોને ગેરલાયક ઠેરવવામાં આવ્યો છે. જેનું કારણ એ છે કે આ ઉમેદવારોએ અરજી ફી ભર્યા બાદ અરજી ઓનલાઈન ફાઇનલ સબમિટ કરેલી નથી. જેથી આ ઉમેદવારો લેખિત પરીક્ષા A નહીં આપી શકે. બારકોડ વિના પરીક્ષાથી ચેડાની શંકા યુનિવર્સિટી દ્વારા લેવામાં આવનારી પરીક્ષામાં ઓએમઆર શીટ પર લખેલા બેઠક ક્રમાંક ઉપર કોઈ પ્રકારનું બારકોડ સ્ટીકર નહીં આવે. ખાનગી એજન્સીના હવાલે સીધી આ જવાબવહી કરાશે. જેથી ઉમેદવારોમાં એવી શંકા છે કે પાછળથી આન્સર સીટમાં ચેડા થઈ શકે.
ગુજરાતી પ્રખ્યાત સિંગર કિંજલ દવે, આરતી સાંધાણી બાદ હવે કિંજલ રબારી પણ પ્રેમલગ્ન કરવા પર વિવાદોમાં આવી છે. પરિવારની મરજી વિરુદ્ધ જઈ ચૌધરી સમાજના યુવક સાથે લગ્ન કરી લીધા બાદ હવે સિંગરે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો છે. જેમાં પોતાને અને તેના પતિને જીવનું જોખમ હોવાનું તેમજ પોલીસ પ્રોટેક્શન માટે અપીલ કરતી જોવા મળે છે. તો આવો જાણીએ શું છે સમગ્ર મામલો… 56 સેકન્ડના વીડિયોમાં સિંગર કિંજલ રબારીએ જણાવ્યું કે, મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કર્યાં છે. પરિવારને મનાવવાના મેં ઘણા પ્રયત્નો કર્યાં હતા, પણ તેઓ મારા લગ્નના વિરોધમાં હતા, જેથી ગઈકાલે મેં મારા પતિને જાણ કરતા તેઓ મને આવીને લઈ ગયા હતા. સોશિયલ મીડિયામાં મારા પતિને બદનામ કરવામાં આવી રહ્યા છે. મારા લગ્નને લઈને કોઈ પણ અફવા ફેલાવવી નહીંઃ કિંજલ રબારીવધુમાં જણાવ્યું કે, હું રબારી સમાજને કહેવા માગુ છું કે, મેં મારી મરજીથી લગ્ન કર્યાં છે પણ મને હાલ બદનામ કરવામાં આવી રહી છે જે ખોટું છે. મારા તેમજ મારા પતિના જીવનું જોખમ છે જેથી મેં એડવોકેટનો સંપર્ક કરીને પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી છે. મારા લગ્નને લઈને કોઈ પણ અફવા ફેલાવવી નહીં. મને અથવા મારા પતિને કોઈપણ નુકસાન પહોંચ્યું તો એના માટે મારો પરિવાર જવાબદાર રહેશે. કોણ છે કિંજલ રબારી?સિંગર કિંજલ રબારી રાધનપુરના નાનકડા સિનાડ ગામની છે તેણે ધો-1થી 8 સુધી ગામની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો. આજ શાળામાં ભણતા તેમના મોટાભાઈ કિરણ રબારી શાળામાં ભજન ગાતા હતા. ત્યારે કિંજલે પણ શાળામાં ભજન ગાવાની ઇચ્છા દર્શાવતાં તેના મોટાભાઈએ શિવજીનું ભજન ગાવા માટે આપ્યું હતું. શિક્ષકોના પ્રોત્સાહન થકી સંગીતની દુનિયામાં રુચિ જાગીત્યારબાદ તેની ગીત સંગીતમાં રુચિ જાગી બાદમાં શાળાના શિક્ષકોએ પણ વિદ્યાર્થીનીને પ્રોત્સાહન આપ્યું હતું. શાળામાં કિંજલ સહિત બે ત્રણ બાળ કલાકાર દરરોજ પ્રાર્થના કે ગીત સંગીતની સ્પર્ધામાં અવશ્ય સહભાગી બનતી હતી. તેમનો કોન્ફિડન્સ વધે તે માટે શાળાના આચાર્ય તેજાભાઈ જાદવે શાળામાં સાઉન્ડ સિસ્ટમ વસાવ્યું હતું અને કિંજલબેન સહિતના વિદ્યાર્થીઓને સાઉન્ડ સિસ્ટમના માધ્યમથી માઈક પર ગાવાનો અનુભવ મળ્યો અને ધીમે ધીમે ચડાવ ઉતાર બાદ કિંજલ રબારી ગુજરાતની ફેમસ લોક કલાકાર બની ગઈ. ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં પણ તેમના પ્રોગ્રામો થયા છે. લગ્ન ગીતો, લોકગીતો, માતાજીના અનેક ગીતો ગાયારાધનપુર તાલુકાના નાનકડા સિનાડ ગામની સરકારી પ્રાથમિક શાળાએ ગુજરાતને કોયલ કંઠી સિંગર આપી છે. કિંજલ રબારીએ દેશી લગ્ન ગીતો, લોકગીતો, માતાજીના અનેક ગીતો ગાયા છે. કલાકારની કારકિર્દીમાં તેની ગામની સરકારી પ્રાથમિક શાળાની મહત્વની ભૂમિકા રહી છે. શાળામાં શિક્ષકોએ આપેલા પ્રોત્સાહન થકી તેને સંગીતની દુનિયામાં રુચિ જાગી અને તે કલાકાર બની તેની ઉજ્જવળ કારકિર્દી બનાવી શકી છે.
પાટણના સેવન ઈલેવન કોમ્પ્લેક્સ સ્થિત સદારામ ક્લાસીસ દ્વારા ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક કોચિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં પોલીસ કોન્સ્ટેબલ અને PSIની લેખિત પરીક્ષા માટે તાલીમ આપવામાં આવે છે. હાલમાં 200 જેટલા વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ રહ્યા છે. સદારામ ક્લાસીસના સંચાલક દાદુજી ઠાકોરે જણાવ્યું કે, ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શન માટે ગાંધીનગર સુધી જવું પડતું હતું, જેમાં 25,000 થી 30,000 રૂપિયાનો ખર્ચ થતો હતો. આ સમસ્યાના નિરાકરણ માટે પાટણમાં જ આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેથી સમાજના યુવાનો આર્થિક મુશ્કેલી વગર તૈયારી કરી શકે. આ શૈક્ષણિક કાર્યમાં થતો તમામ આર્થિક ખર્ચ સદારામ સેવા સમિતિના ચેરમેન બાબાભાઈ ભરવાડ દ્વારા ભોગવવામાં આવી રહ્યો છે. પોલીસ કોન્સ્ટેબલની એક બેચનો અંદાજિત ખર્ચ 7 લાખ રૂપિયા જેટલો થાય છે, જેમાં 4 મહિના સુધી 400 થી 450 કલાકનું શિક્ષણ અપાય છે. બાબાભાઈ ભરવાડે બે બેચનો સંપૂર્ણ ખર્ચ ઉપાડવાની ખાતરી આપી છે. હાલમાં પોલીસ ભરતી માટેની બે બેચ કાર્યરત છે. આગામી સોમવારથી અગ્નિવીર આર્મી માટેની નવી બેચ પણ શરૂ કરવામાં આવશે. સંસ્થાનું મુખ્ય વિઝન ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ માત્ર પોલીસ જ નહીં, પણ ભવિષ્યમાં GPSC અને UPSC જેવી પરીક્ષાઓ પાસ કરી ક્લાસ-1 અધિકારી બને તેવું છે. આ સેવામાં સદારામ સેવા સમિતિના ચેરમેન બાબાભાઈ ભરવાડ ઉપરાંત નવઘણજી ઠાકોર, વિનયસિંહ ઝાલા, મંગાજી ઠાકોર અને મનોજભાઈ ડોક્ટર પણ સહયોગ આપી રહ્યા છે. ક્લાસીસનું સંચાલન દાદુજી ઠાકોર, સત્સંગભાઈ ઠાકોર અને જીવણભાઈ ઠાકોર કરી રહ્યા છે. ભવિષ્યમાં GPSC અને UPSC માટેના ક્લાસીસ પણ શરૂ કરવાની યોજના છે.
અમદાવાદના ચાંદખેડા વિસ્તારની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ દુષ્કર્મ આચરવાના ગુનામાં ગાંધનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આસામના શખસને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે ભોગ બનનાર સગીરાને આર્થિક વડતર પેટે 4 લાખ રૂપિયા ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. સગીરાને પ્રેમજાળમાં ફસાવી ગોવા લઈ ગયોઆ કેસની વિગત મુજબ, ગત વર્ષે આસામના બનામલી ગામના હીરા ઉર્ફે હીરોન નેહારદાસ નામના શખસે 16 વર્ષ અને સાત મહિનાની સગીરા સાથે મિત્રતા કેળવી હતી. આરોપીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી કાળુપુર રેલવે સ્ટેશન બોલાવી હતી અને ત્યાંથી તેને ભગાડીને ગોવા લઈ ગયો હતો. પતરાની ઓરડીમાં ગોંધી રાખી દુષ્કર્મ આચર્યુંબાદમાં ગોવામાં એક પતરાની ઓરડીમાં સગીરાને ગોંધી રાખી આરોપીએ જો તું મારું કહેવું નહીં માને તો હું મરી જઈશ તેવી ધમકીઓ આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે સગીરાના વાલીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું, ત્યારે ગાંધીનગરના બીજા એડિશનલ સેશન્સ જજ એસ.વી. શર્માની કોર્ટમાં આ કેસની સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટે આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારીસરકારી વકીલ સુનિલ પંડ્યાએ ધારદાર દલીલો કરી આરોપીને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી. અદાલતે બંને પક્ષોની દલીલો અને પુરાવાઓને ધ્યાને રાખી આરોપી હીરા દાસને 20 વર્ષની સખત કેદ અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઉપરાંત પીડિતાને કાનૂની સેવા સત્તા મંડળ મારફતે 4 લાખનું વળતર ચૂકવવા પણ હુકમ કર્યો છે.
નવસારી કૃષિ યુનિવર્સિટીનો 21મો વાર્ષિક પદવીદાન સમારોહ રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ સમારોહમાં કુલ 693 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. તેમાંથી 36 તેજસ્વી વિદ્યાર્થીઓએ 57 ગોલ્ડ મેડલ મેળવી યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સમારોહને સંબોધતા પ્રાકૃતિક ખેતીના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે રાસાયણિક ખેતીના દુષ્પ્રભાવોને કારણે ખેડૂતો ખેતી છોડી રહ્યા છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જ કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ લાવી શકે છે, જે ખર્ચ મુક્ત છે અને જમીનની ફળદ્રુપતા તેમજ માનવ સ્વાસ્થ્ય જાળવવામાં મદદરૂપ થાય છે. તેમણે યુવા વૈજ્ઞાનિકોને પરંપરાગત ભારતીય બીજોના સંવર્ધન માટે સંશોધન કરવા પણ આહ્વાન કર્યું હતું. રાજ્યપાલશ્રીએ પદવીધારકોને પ્રેરણા આપતા કહ્યું કે પ્રાચીન સમયમાં 'દીક્ષાંત'નો અર્થ ગુરુ દ્વારા આપવામાં આવતો જીવનમૂલ્યોનો ઉપદેશ હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે માત્ર ડિગ્રી મેળવવી એ જીવનનું અંતિમ લક્ષ્ય ન હોવું જોઈએ, પરંતુ પ્રાપ્ત કરેલા જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ સમાજ અને રાષ્ટ્રના ઉત્થાન માટે થવો જોઈએ. સમારોહના મુખ્ય અતિથિ મહારાષ્ટ્ર એનિમલ એન્ડ ફિશરી સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીતિન પાટીલે પદવીધારકોને 'જોબ સીકર' (નોકરી શોધનાર) ને બદલે 'જોબ પ્રોવાઈડર' (નોકરીદાતા) બનવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે કૃષિ ક્ષેત્રે ઈન્ટ્રિગેટેડ સ્ટાર્ટ-અપ શરૂ કરવા પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં કૃષિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર મહાનુભાવોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રેષ્ઠ શિક્ષક અને સંશોધનકર્તા એવોર્ડ, શ્રેષ્ઠ વિસ્તરણ વૈજ્ઞાનિકનું સન્માન, તેમજ આદર્શ પુરુષ અને મહિલા ખેડૂતોનું બહુમાન સામેલ હતું. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ટી.આર. અહલાવતે સ્વાગત પ્રવચનમાં યુનિવર્સિટીની શૈક્ષણિક સિદ્ધિઓ અને નવી વિકસાવેલી પાકની જાતો વિશે માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે કુલસચિવ ડૉ. એચ.એમ. વિરડીયાએ આભારવિધિ કરી હતી.
પાટણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતી પદ્મનાથ ચોકડીથી ખાન સરોવર સુધીની કેનાલમાં પ્રદૂષણ અને અતિક્રમણ મુદ્દે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી છે. તેમણે કેનાલના પાણીમાં જાહેરમાં સ્નાન અને કપડાં ધોવા જેવી પ્રવૃત્તિઓથી લોકોના આરોગ્ય સામે ખતરો હોવાનું જણાવી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે. દીપક પટેલે જણાવ્યું હતું કે, પદ્મનાથ ચોકડીથી સિદ્ધિ સરોવર સુધીની કેનાલની આસપાસની ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો કેનાલના પાણીમાં સ્નાન કરે છે, દાતણ કરે છે અને કપડાં ધોવે છે. શહેર બહારથી આવતા લોકો પણ આ પ્રવૃત્તિઓ કરતા હોવાનું સામે આવ્યું છે. આ અંગે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. ખાસ કરીને, પદ્મનાથ ચોકડી નજીક આવેલા બે છાપરાવાળા લોકો દ્વારા પાણી વધુ પ્રદૂષિત કરવામાં આવી રહ્યું છે. આ દબાણો કોઈના રક્ષણ હેઠળ દૂર કરવામાં આવતા ન હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. શહેરની જનતાને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે ચીફ ઓફિસરને યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે, કારણ કે પ્રદૂષિત પાણીથી રોગો ફેલાવવાનો ભય છે. આ સાથે, પાટણની જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે પદ્મનાથ ચોકડીથી ખાન સરોવર સુધીની કેનાલમાં કચરો, ફૂલ, નારિયેળ, કંકુ, અબીલ અને ગુલાલ જેવી ધાર્મિક સામગ્રી ન નાખે, જેથી પાણી પ્રદૂષિત ન થાય અને શુદ્ધ પીવાલાયક પાણી ઉપલબ્ધ રહે.
સાયબર ગઠિયાઓ રોજ અલગ અલગ બહાના હેઠળ લોકો પાસેથી લાખો રૂપિયા પડાવે છે ત્યારે શહેરના એક વૃદ્ધને શેરબજારમાં રોકાણ કરાવવાનું કહીને ટુકડે-ટુકડે લાખો રૂપિયા પડાવ્યા છે. વૃદ્ધ પાસેથી 63.05 લાખ રૂપિયા લઈને 1.10 લાખ પરત આપ્યા હતા, જ્યારે બાકીના 61.95 લાખ પરત ન આપતા વૃદ્ધે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. ગુગલ પર શેરબજારના રોકાણની જાહેરાત જોઈને રોકાણ માટે લલચાયામણીનગરમાં રહેતા 13 વર્ષીય વૃદ્ધ ખાનગી કંપનીમાંથી પ્રોડક્શન મેનેજર તરીકે નિવૃત્ત થયા હતા.વૃદ્ધ શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટનું કામ કરતા હતા. 17 નવેમ્બર, 2025ના રોજ તેઓ ગુગલ પર સર્ફ કરી રહ્યા હતા ત્યારે શેરબજારના રોકાણની જાહેરાત તેમણે જોઈ હતી. જે બાદ તેઓ ગ્રુપમાં એડ થયા હતા. ગ્રુપમાં અન્ય લોકો સારો નફો થયો હોય તેના સ્ક્રીનશોટ મોકલતા હતા. જેથી, વૃદ્ધને વિશ્વાસ આવી ગયો હતો જેમાં તેમને રોકાણ કરવું હોવાથી તેમણે કંપનીમાં સંપર્ક કર્યો ત્યારે તેમને લિંક મોકલવામાં આવી હતી. જે લિંક ખોલીને વૃદ્ધે તેમાં તેમની તમામ વિગતો ભરી હતી. વૃદ્ધે સાયબર ક્રાઈમમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈવૃદ્ધે શરૂઆતમાં રોકાણ કર્યું જેમાંથી તેમણે 1.10 લાખ રૂપિયા ઉપાડ્યા પણ હતા.જે બાદ વધુ રોકાણ માટે પણ વાતચીત કરીને એપ્લિકેશનમાં અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ 63 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. કુલ રકમમાંથી તેમણે 1.10 લાખ રૂપિયા ઉપાડ્યા હતા જ્યારે બાકીના 61.95 લાખ રૂપિયા ઉપાડ્યા નહતા.જે પૈસા તેમને પરત માગ્યા તો તેમને આપવામાં આવ્યા ન હતા.વૃદ્ધને તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી જેથી સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ઝેઝરી, ખેરવા અને ગેડીયા ગામમાં પીજીવીસીએલ અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં કુલ રૂ. 1.32 કરોડની વીજ ચોરી ઝડપાઈ છે. વીજ ચોરી અટકાવવા માટે પીજીવીસીએલની 37 ટીમોએ પોલીસ વિભાગ સાથે મળીને એકસાથે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન કુલ 612 વીજ કનેક્શનની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 87 ઘરવપરાશના અને 2 કોમર્શિયલ કનેક્શન સહિત કુલ 89 કનેક્શનમાં ગંભીર ગેરરીતિઓ જોવા મળી હતી. 56 ઘરોમાં વીજમીટર વગર જ સીધા લંગરિયા નાખીને એસી, ઇલેક્ટ્રિક સગડી અને ફ્રીજ જેવા ઉપકરણોનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું હતું. આ કાર્યવાહીના ભાગરૂપે કુલ રૂ. 1.32 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. આટલી મોટી રકમના દંડને કારણે વીજ ચોરી કરનારાઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા એસપી પ્રેમસુખ ડેલુ, ધ્રાંગધ્રા ડિવાયએસપી જે.ડી. પુરોહિત, ડિવાયએસપી વેદિકા બિહાની, કરણ પન્ન અને પીજીવીસીએલના એન.એન. અમીન સહિતના અધિકારીઓની આગેવાની હેઠળ આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન અનેક વીજ ચોરી કરનારાઓ ગામ છોડીને ભાગી છૂટ્યા હોવાના અહેવાલ છે. પાટડીના ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી રકમનો દંડ એકસાથે ફટકારવામાં આવ્યો છે. પીજીવીસીએલના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં પણ વીજ ચોરી અટકાવવા માટે આ પ્રકારની સઘન ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે, જેથી પ્રામાણિક ગ્રાહકોને કોઈ અન્યાય ન થાય.
ગાંધીનગરના ફિરોજપુર ગામની સીમમાં આવેલી શિલ્પ સેન્ટ્રીકા બિલ્ડિંગની નિર્માણાધીન સાઇટના પાંચમાં માળેથી 30 જાન્યુઆરીના રોજ નીચે પટકાવાથી મોત 32 વર્ષીય મેનેજરનું મોત નિપજ્યું હતું. આ મામલાની તપાસમાં નિર્માણાધીન સાઇટ પર સુરક્ષાના નિયમોના ધજાગરા ઉડ્યા હોવાના પગલે મૃતકના વકીલ પિતાની ફરિયાદના આધારે ડભોડા પોલીસે સાઇટ સેફ્ટી ઓફિસર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પાંચમા માળેથી પટકાતા મેનેજરનું મોત નિપજ્યું હતુંગાંધીનગરના ગિફ્ટ સિટી પાસેના ફિરોજપુર ગામની સીમમાં આવેલી શિલ્પ સેન્ટ્રીકા બિલ્ડિંગની નિર્માણાધીન સાઇટ ખાતે ક્લિમાસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં પેસિફિકેશન મેનેજર તરીકે ફરજ બજાવતા 32 વર્ષીય દેવપ્રકાશ શર્મા પાંચમા માળેથી નીચે પટકાતા તેમનું ગંભીર ઇજાઓને કારણે કરૂણ મોત થયું છે. આ મામલે મૃતકના પિતા અને ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના વકીલ શિવદુલાર હરગોવિંદ શર્માએ ડભોડા પોલીસ મથકે સેફ્ટી ઓફિસર વિરુદ્ધ ગંભીર બેદરકારીની ફરિયાદ નોંધાવી છે. મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ ગાંધીનગરમાં સ્થાયી થયેલા દેવપ્રકાશ શર્મા ગત 30 જાન્યુઆરીના રોજ બપોરે ફિરોજપુર ખાતેની શિલ્પ સેન્ટ્રીકા સાઇટ પર બિલ્ડિંગના કાંચ લગાડવા માટેના એન્કર ફાસનર ચેક કરવા માટે પાંચમા માળે ગયા હતા. બેરિકેટિંગના અભાવે અકસ્માત સર્જાયો આ દરમિયાન પાંચમા માળે ગાર્બેજ નિકાલ કરવા માટે બનાવેલી ખુલ્લી જગ્યા પાસે કોઈ પણ પ્રકારનું સુરક્ષા કવચ કે બેરીકેટીંગ ન હોવાથી અંધારામાં સંતુલન ગુમાવતા દેવપ્રકાશ સીધા બીજા માળે પટકાયા હતા. તેમને માથા અને કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાના પગલે મૃતકના પિતા અને પરિવારજનોએ ઘટનાસ્થળની મુલાકાત લેતા જે જગ્યાએથી દેવપ્રકાશ નીચે પટકાયો હતો ત્યાં અકસ્માત બાદ પાઇપો અને લાકડાના પાટિયા વડે બેરીકેટીંગ કરવામાં આવ્યું હતું. ત્યારે કંપનીના જ માણસોએ સ્વીકાર્યું હતું કે અકસ્માત સમયે ત્યાં કોઈ સુરક્ષા સાધનો ન હતા. ત્યારે પોલીસ તપાસમાં પણ એસએચસી પ્રોજેક્ટ પ્રા.લી.ના સેફ્ટી ઓફિસર દિનેશ શ્રી સ્વામીનાથ વર્માએ પોતાની જવાબદારીમાં ઘોર નિષ્કાળજી દાખવી હોવાનું સામે આવ્યું હતું. જો ગાર્બેજ નિકાલની જગ્યાને અગાઉથી કોર્ડન કરવામાં આવી હોત તો આ જીવલેણ અકસ્માત ટાળી શકાયો હોત. મલ્ટીપલ ઈન્જરીના કારણે મેનેજરનું મોત નિપજ્યું હતુંપોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં મૃતદેહના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું હતું કે, ઊંચાઈ પરથી પટકાવાને કારણે યુવાનને મલ્ટીપલ ઇન્જરી અને હેમરેજ થયું હતું, જે તેના મોતનું મુખ્ય કારણ બન્યું હતું. મૃતક છેલ્લા દસ માસથી આ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત હતા. ડભોડા પોલીસે હાલમાં મૃતકના પિતાના નિવેદનના આધારે સેફ્ટી ઓફિસર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરો અને એન્જિનિયરોની સુરક્ષા માટેના માપદંડોનું પાલન કેમ નહોતું કરવામાં આવ્યું તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી છે.
ભાવનગર રેન્જના ચોથા IG તરીકે રાજેન્દ્ર અંસારીએ ચાર્જ સંભાળ્યો. ચાર્જ સંભાળતા પહેલા સાળગપુર હનુમાનજી મંદિર અને રાજપરા ખોડિયાર મંદિર પૂજા અર્ચના કર્યા બાદ રેન્જ ઓફિસ ખાતે તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે સન્માન આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લાના પોલીસ અધિકારીઓએ પુષ્પગુચ્છ આપી નવા IGનું સ્વાગત કર્યું. ગાર્ડ ઓફ ઓનર આપી તેમનું સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતુંભાવનગર રેન્જના નવા ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે રાજેન્દ્ર અંસારીએ ચાર્જ સંભાળ્યો છે. ગુરુવારે ભાવનગર સ્થિત IGP કચેરી ખાતે ગાર્ડ ઓફ ઓનર આપી તેમનું સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લાના SP, DYSP, ASP સહિતના પોલીસ અધિકારીઓ અને સ્ટાફે પુષ્પગુચ્છ આપી નવા IG રાજેન્દ્ર અસારીનું સ્વાગત કર્યું હતું. પોલીસ વિભાગના અધિકારીઓએ તેમને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, રાજેન્દ્ર અંસારી અગાઉ ભાવનગર જિલ્લામાં SP તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. લગભગ 17 વર્ષ બાદ તેઓ ફરી ભાવનગરમાં ઉચ્ચ પદ પર પરત ફર્યા છે અને હવે ભાવનગર રેન્જના IG તરીકે ચાર્જ સંભાળ્યો છે. ચાર્જ સંભાળતા પહેલા રાજેન્દ્ર અંસારીએ સાળંગપુર ખાતે હનુમાનજી મંદિર અને રાજપરા ખાતે ખોડિયાર માતાજી મંદિર દર્શન કર્યા હતા. ત્યારબાદ તેઓ ભાવનગર IGP કચેરી ખાતે પહોંચ્યા અને સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો હતો. પોલીસ દ્વારા એક એક્શન પ્લાન બનાવીને કામગીરી કરવામાં આવશેઆ અંગે નવનિયુક્ત રેન્જ IG રાજેન્દ્ર અંસારીએ જણવાયું હતું કે, પોલીસની સૌથી મહત્વની જે જવાબદારી છે, એ એના કાર્યક્ષેત્રમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઈ રહે તે રીતની છે. ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ અને ખૂબ સારી બને એ રીતે સંયુક્ત રીતે પ્રયાસ કરી અને કામગીરી કરવામાં આવશે. બીજુ વર્તમાન સમયની અંદર સાયબર ક્રાઈમના ગુનાઓ ખૂબ બને છે. જનતામાં અવેરનેસ ફેલાય એ માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી અને જે નાના-મોટા સાયબર ક્રાઈમના ગુનાઓ બને છે, એ ગુનાઓ અટકાવવા માટે ત્રણેય જિલ્લાના પોલીસ દ્વારા એક એક્શન પ્લાન બનાવીને કામગીરી કરવામાં આવશે. તે સાથે જે નશાકારક પ્રવૃત્તિઓ છે એને નાબૂદ કરવા માટે અને અંકુશમાં રાખવા માટે પોલીસ દ્વારા ઘનિષ્ઠ અને સનિષ્ઠ પ્રયાસો કરવામાં આવશે. સાથે-સાથે પોલીસ વેલ્ફેરની જે બાબતો છે જે પોલીસ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે સંકળાયેલી છે એ વેલ્ફેરની તમામ બાબતો ઉપર ધ્યાન આપવામાં આવશે. પોલીસ વિભાગ તરફથી ધ્યાન આપવામાં આવશેબાકી પોલીસ વિભાગની અંદર જે વહીવટી કામગીરી છે, એમાં પેન્ડેન્સીનું પ્રમાણ કેટલું છે એનો એનાલિસિસ કરી અને ખૂબ ઝડપથી એનો નિકાલ થાય અને કામગીરી એકદમ સરળ બને એ રીતે પ્રયાસ કરવામાં આવશે. ત્રણેય જિલ્લાના અરજદારો સિનિયર લેવલના અધિકારીઓને ખૂબ સરળતાથી મળી શકે, એમના પ્રશ્નોની રજૂઆત કરી શકે અને એમની સમસ્યાઓનું નિરાકરણ ખૂબ ઝડપથી આવે એ રીતેની એક રૂપરેખા તૈયાર કરી અને ત્રણેય જિલ્લાના SPને સૂચનાઓ અપાશે, જેથી અરજીઓનું જે ભારણ છે એ ઓછું થાય, અરજીઓનો ત્વરિત નિકાલ થાય અને કોઈ ઘટના બને એ પહેલા એ ઘટનાને નિવારી શકાય. સાથે-સાથે પ્રજાની તમામ પ્રકારની સલામતી એમની સુખાકારી અને શાંતિ બની રહે એ પ્રમાણે પોલીસ વિભાગ તરફથી ધ્યાન આપવામાં આવશે. કોઈ પણ લેન્ડિંગ પોઈન્ટ અહિયાં ના બને એ પ્રકારે પૂરતું અને વિશેષ ધ્યાન આપવામાં આવશેઅત્યારે વર્તમાન સમયમાં જે પરિસ્થિતિ છે તેને ધ્યાને લેતા દરિયાઈ સુરક્ષાને ખૂબ પ્રાધાન્ય આપ્યું છે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા એને સતત મોનીટરીંગ કરવામાં આવે છે. અહીંયા જે પ્રકારે વ્યવસ્થા છે બોટ પેટ્રોલિંગની તેમજ કોસ્ટગાર્ડ સાથે પણ સંકલન કરીને લોકલ જિલ્લા પોલીસ એમની સાથે કામ કરે છે. દરિયાઈ સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવશે.જે માછીમારો દૂર દરિયામાં માછીમારી કરવા માટે જાય છે એ પોલીસ સાથે સતત સંપર્કમાં રહે, નાની-મોટી કોઈ માહિતી હોય એ જાણકારી પોલીસને આપે. એ સાથે જે દરિયાકિનારા વિસ્તારના જે ગામો છે એ ગામોની અંદર વિઝિટ કરવામાં આવશે, મુલાકાત લેવામાં આવશે, ત્યાંના લોકો સાથે ચર્ચા કરવામાં આવશે અને મેક્સિમમ દરિયા કિનારા ઉપર જે પ્રવૃત્તિઓ થાય છે એ પ્રવૃત્તિઓ ઉપર સતત ધ્યાન આપી અને એવી કોઈ પણ ઘટના ના બને અથવા એવો આપણો કોઈ પણ લેન્ડિંગ પોઈન્ટ અહિયાં ના બને એ પ્રકારે પૂરતું અને વિશેષ ધ્યાન આપવામાં આવશે, તકેદારી રાખવામાં આવશે. સામાન્ય જનતાને રંજાડે એવી પ્રવૃત્તિને ચલાવી લેવામાં આવશે નહીંબાકી જે ભૂતકાળની અંદર જે ગુનાઓ દાખલ થયેલા છે, GST, ભૂ માફિયાઓ, એવા અસામાજિક તત્વો વિરુદ્ધમાં બહુ જ કડકાઈથી કામ લેવામાં આવશે. 'ગુજસીટોક' નો મેક્સિમમ અમે, અમારી પાસે પૂરતા એવિડન્સ હશે તો તેનો ઉપયોગ કરીશું અને આ પ્રકારની પ્રવૃત્તિ કે આ પ્રકારની કોઈપણ સામાન્ય જનતાને રંજાડે એવી પ્રવૃત્તિને ચલાવી લેવામાં આવશે નહીં.
બોરતળાવ પાસેથી લાશ મળી:બોરતળાવના કાંઠે આવેલ પાણી ભરેલા ખાડામાંથી EX આર્મીમેનની લાશ મળી
ભાવનગર શહેરના ચિત્રા પ્રેસક્વાર્ટર પાછળ આવેલ મિલ્ટ્રી સોસાયટીમાં રહેતા વૃદ્ધનો બોરતળાવના કાંઠે આવેલ ગણેશનગર પાછળ પાણી ભરેલા ખાડામાંથી મૃતદેહ મળી આવતા ફાયરબ્રિગેડના જવાનોએ લાશને બહાર કાઢી બોરતળાવ પોલીસને હવાલે કરતા પોલીસે તપાસ હાથ ધરી છે, આ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ચિત્રા પ્રેસક્વાર્ટર પાછળ મિલ્ટ્રીસોસાયટી પ્લોટ નંબર 210 માં રહેતા કિશોરસિંહ સુજાનસિંહ ઝાલા ઘરથી ગુમ થયા હોય દરમ્યાન પરીવારે કિશોરસિંહ ની શોધખોળ હાથ ધરી હતી, જેમાં કોઈએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી કે બોરતળાવનાં કાંઠે આવેલ ગણેશનગર પાછળ પાણી ભરેલા ખાડામાં અજાણ્યા શખ્સની લાશ પડી છે, જે માહિતી મળતાં ફાયરબ્રિગેડ તથા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, જેમાં ફાયરબ્રિગેડના જવાનોએ લાશને ખાડામાંથી બહાર કાઢી લાશને પોલીસને હવાલે કરતાં પોલીસે લાશનો કબ્જો લઈ તપાસ હાથ ધરતા મૃતક ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવી હાલમાં પરીવાર સાથે નિવૃત્ત જીવન પસાર કરતા મિલ્ટ્રી સોસાયટીના કિશોરસિંહ સુજાનસિંહ ઝાલા હોવાનું ખુલવા પામ્યું હતું, મૃતકનાં શરીર પર કોઈ બાહ્ય ઈજાના નિશાન જોવા મળ્યા ન હતા, આથી પોલીસે મૃતકનાં પરીવારને સ્થળ પર બોલાવી લાશનું પંચનામું કરી મોતનું કારણ જાણવા લાશને પીએમ માટે સર ટી હોસ્પિટલમાં મોકલી મૃતકનાં પરીવારના નિવેદનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમરેલી યાર્ડમાં ધાણાની બમ્પર આવક:4 દિવસથી 3 કિમી લાંબી વાહનોની કતાર, 40 હજાર મણ ધાણાની દૈનિક આવક
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ધાણાની બમ્પર આવક નોંધાઈ રહી છે. છેલ્લા ચાર દિવસથી યાર્ડની બહાર હાઈવે પર ખેડૂતોના વાહનોની ત્રણ કિલોમીટરથી વધુ લાંબી કતારો જોવા મળી રહી છે. દૈનિક 40 થી 45 હજાર મણ ધાણાની આવક થતાં યાર્ડમાં ભારે ભીડ અને દોડધામ મચી છે. અમરેલી જિલ્લાનું આ સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ હોવાથી, અમરેલી અને આસપાસના જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાના ધાણા વેચવા આવી રહ્યા છે. ખેડૂતોને અહીં ધાણાના પ્રતિ મણ રૂ. 2000 થી રૂ. 3000 સુધીના સારા ભાવ મળી રહ્યા છે, જે આકર્ષણનું મુખ્ય કારણ છે. સારા ભાવને કારણે યાર્ડમાં વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ટ્રેક્ટર, ટ્રક અને બોલેરો જેવા વાહનોની લાંબી કતારોને કારણે ખેડૂતોને પોતાના વારાની રાહ જોવામાં લાંબો સમય લાગી રહ્યો છે. યાર્ડની અંદર પણ દિવસભર ખરીદી અને વેચાણની પ્રક્રિયામાં ભારે ગતિવિધિ જોવા મળે છે. ચિતલથી આવેલા ખેડૂત વિનુભાઈ સોરઠીયાએ જણાવ્યું કે, તેઓ વહેલી સવારના ચાર વાગ્યાથી ધાણા લઈને આવ્યા છે અને ગેટ ખુલવાની રાહ જોઈ રહ્યા છે. તેમણે APMC દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓ જેવી કે ચા-પાણી અને નાસ્તાની વ્યવસ્થાની પ્રશંસા કરી. તેમને અહીં રૂ. 2000 થી રૂ. 2700 સુધીના ભાવ મળવાની અપેક્ષા છે. અરડોઈ પંચ દેવળિયાથી આવેલા ખેડૂત ગોવર્ધનભાઈ વામજાએ જણાવ્યું કે તેઓ બે વાહન લઈને ધાણા વેચવા આવ્યા છે. તેમને પ્રતિ મણ રૂ. 2200 થી રૂ. 2300 સુધીના ભાવ મળ્યા છે. તેમણે સ્વીકાર્યું કે ભાવ ખૂબ સારા નથી, પરંતુ અન્ય યાર્ડની સરખામણીમાં અહીં સંતોષકારક છે. તેમને બે દિવસ રાહ જોયા બાદ આજે વારો મળ્યો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડ સેક્રેટરી તુષાર અપાણીએ જણાવ્યુ કે, ‘અંદર હાલમાં ધાણાની ખૂબ જ મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. રોજની 40 થી45 હજાર મણ જેવું દરોજ વેચાણ થાય છે અને ખેડૂતોને 2000 થી લઈને 3000 જેવા સારા એવા ભાવ મળી રહ્યા છે.અંદર બધી પૂરતી વ્યવસ્થા તો છે જ, પરંતુ એકસાથે પાક આવેલો હોય એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં આવક થતી હોય તો અત્યારે આવક પ્રવેશ છે એ બંધ કરવામાં આવતો હોય છે કે જેથી અંદરની વ્યવસ્થા છે એ જળવાઈ રહે. જેવી અંદર અત્યારે વ્યવસ્થા ખાલી થશે એટલે બહારથી જે બધા વાહનો લગભગ 2-3કિલોમીટર, 4 કિલોમીટર જેવી લાંબી લાઇનો થઈ છે, એને પછી અંદર સમાવેશ કરી લઈશું અને બહાર ઉભેલા વાહનો છે એને અમે જરૂર પડે પીવાના પાણી તથા નાસ્તાની અને એવી બધી વ્યવસ્થા કરવામાં આવે છે.અને જિલ્લાની અંદર, આપણા અમરેલી તાલુકા ઉપરાંત આજુબાજુના તાલુકા તેમજ આજુબાજુના જિલ્લામાંથી પણ અત્યારે ધાણાના સારા એવા ભાવ મળતા હોય એટલે ખેડૂતો વેચાણ અર્થે અહીં અમરેલી માર્કેટ યાર્ડની અંદર આવે છે અને ભાવ પણ સારા એવા મળે છે.’
ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની નવનિયુક્ત ટીમની પ્રથમ પરિચય બેઠક યોજાઈ હતી. આ બેઠક જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં નવા હોદ્દેદારો અને કાર્યકરોએ એકબીજાનો પરિચય મેળવ્યો હતો. આ બેઠક જિલ્લા પંચાયત પ્રમુખના નિવાસસ્થાને યોજાઈ હતી.તેમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપના નવનિયુક્ત મહામંત્રીઓ, ઉપપ્રમુખો, મંત્રીઓ, જિલ્લાના તમામ 14મંડળોના પ્રમુખો, અન્ય હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. નવી સંગઠનની આ પ્રથમ સંયુક્ત બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ સક્રિય બનાવવાની દિશામાં મનોમંથન થયું હતું. જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજાએ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીની આગેવાનીમાં તમામ હોદ્દેદારો અને કાર્યકરોને ચૂંટણીલક્ષી સક્રિયતા દાખવવા આહ્વાન કર્યું હતું. તેમણે વર્ષ 2021 ની ચૂંટણી કરતાં પણ વધુ બહુમતી સાથે ભરૂચ જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકામાં ભવ્ય જીત મેળવવાના ધ્યેય સાથે વ્યૂહરચના ઘડવા પર ભાર મૂક્યો હતો. બેઠક દરમિયાન આગામી કાર્યક્રમો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. શુક્રવારે નેત્રંગ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમ અને શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ભરૂચ જિલ્લાના પ્રવાસના આયોજન અંગે વિચારવિમર્શ થયો હતો.
સુરતમાં અવારનવાર દારૂબંધીના લીરેલીરા ઉડાડતી ઘટનાઓ સામે આવે છે, ત્યારે મહાનગરપાલિકા સંચાલિત કોસાડ લેક ગાર્ડનમાં પણ રાત્રિના સમયે દારૂની મહેફિલો જામતી હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. વહેલી સવારે જ્યારે સ્થાનિક લોકો ગાર્ડનમાં પહોંચ્યા, ત્યારે તેઓ દૃશ્યો જોઈને ચોંકી ગયા હતા. ગાર્ડનના ખૂણામાં અને બેસવાના બાંકડાઓ પાસે વિદેશી દારૂની ખાલી બોટલો અને નાસ્તાના પેકેટો વેરવિખેર હાલતમાં મળી આવ્યા હતા. ખાલી બોટલો મળી આવતા પાલિકા તંત્ર અને પોલીસ પ્રશાસનની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. CCTV હોવા છતાં તંત્ર અંધારામાં?અહીં સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થાય છે કે, મહાનગરપાલિકાએ આ ગાર્ડનમાં સુરક્ષા માટે લાખોના ખર્ચે CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. જો ગાર્ડનમાં કેમેરા હોય અને ચોકીદાર તૈનાત હોય, તો પછી અસામાજિક તત્વો અંદર પ્રવેશ્યા કેવી રીતે? શું સિક્યુરિટી ગાર્ડની મિલીભગતથી આ પ્રવૃત્તિ ચાલી રહી છે? કે પછી રાત્રિના સમયે કેમેરા માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે? સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, ગાર્ડનમાં રાત્રિના સમયે પૂરતો પ્રકાશ હોતો નથી અને સુરક્ષાના નામે મીંડું છે, જેનો ફાયદો નશાખોરો ઉઠાવી રહ્યા છે. પોલીસનું માત્ર જાહેરમાર્ગો પર પેટ્રોલિંગઆ ઘટના અમરોલી પોલીસ સ્ટેશનની હદમાં બની છે. ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરાવવાની જવાબદારી પોલીસની છે, પરંતુ જાહેર સ્થળોએ, જ્યાં સીસીટીવી ફૂટેજ અને સિક્યુરિટી જેવી વ્યવસ્થા હોય, ત્યાં પણ જો દારૂની બોટલો મળી આવતી હોય તો પોલીસ પેટ્રોલિંગ પર ગંભીર સવાલો ઉઠે છે. સ્થાનિકોમાં એવો ગણગણાટ છે કે, પોલીસ માત્ર મુખ્ય રસ્તાઓ પર દેખાય છે, પરંતુ અંદરના વિસ્તારો અને ગાર્ડન જેવા સ્થળોએ રાત્રિના સમયે પેટ્રોલિંગનો અભાવ જોવા મળે છે.
શહેરના બહેરામપુરા વિસ્તારમાં રહેતા કિન્નરને વોટ્સએપ ગ્રુપમાં પેટલાદના અખાડાના પાંચ જેટલા કિન્નરો દ્વારા ધમકી આપવામાં આવી છે. જાતિ વિષયક શબ્દો બોલીને અપમાન કર્યું હતું. એક કિન્નરે હું ખુની છું, મારું નામ કેમ લો છો? તારું ખૂન કરી નાખીશ એવી ધમકી પણ આપી હતી. વોટ્સએપ ગ્રુપમાં ધમકી આપવામાં આવતા કિન્નરે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં પાંચ જેટલા કિન્નર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વોટ્સએપમાં જય મેલડી મા નામથી એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છેશહેરના બહેરામપુરા વિસ્તારમાં ગ્રીન ક્રોસ સોસાયટીની બાજુમાં માતાજીનો મઢ આવેલો છે જેમાં હિતેશભાઈ શ્રીમાળી ઉર્ફે સંગીતા દે પાવૈયા તેમના ગુરુ સાનિયા દે અને અન્ય 15 કિન્નરો સાથે રહે છે. નારોલ ગામમાં યજમાન વૃત્તિ ઉઘરાવવાનું કામ કરે છે. વોટ્સએપમાં જય મેલડી મા નામથી એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જેમાં આશરે 300 જેટલા કિન્નરો ગ્રુપમાં છે. ગ્રુપ એડમીન તરીકે પેટલાદ અખાડામાં અગાઉ આરતી બાપુના મઢ ખાતે કિન્નર ગ્રુપમાં ઝારા કુવર અને અન્ય કિન્નરની સાથે રહેતા હતા. તેમની સાથે ફાવતું ન હોવાથી જુદા થઈ અને સાનિયા દે સાથે અમદાવાદ રહેવા આવ્યા હતા. જેમ ફાવે તેમ જાતિ વિષયક શબ્દો બોલી અપમાનિત કર્યા હતા10 માર્ચના રોજ સાંજના સમયે જ્યારે સંગીતા દે આરામ કરતા હતા ત્યારે વોટ્સએપમાં જય મેલડી માં ગ્રુપમાં એક વીડિયો મેસેજ આવ્યો હતો. જે વીડિયો જોતા પેટલાદ ખાતે રહેતા આરતી કુવરે વીડિયો ક્લિપ મોકલી હતી. સંગીતા દે ને સંબોધીને મોકલવામાં આવેલી હતી. આરતી કુવર ઉર્ફે સમીરખાન ઝારા કુવર મરાઠી દ્વારા જાતિ વિષયક શબ્દો બોલવામાં આવ્યા હતા અને અપમાનિત કરતી બે વીડિયો ક્લિપ મોકલી હતી. કાજલ કુવર નીલમ કુંવર તથા જ્યોતિ કુવરે સાથે મળીને વોઇસ કોલ ઉપર સંગીતા દે અને તેમના ચેલાઓને જેમ ફાવે તેમ જાતિ વિષયક શબ્દો બોલી અપમાનિત કર્યા હતા પાંચ કિન્નર વિરુદ્ધ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીઝારા કુવરે હું ખૂની છું મારું નામ કેમ લો છો? તારું ખૂન કરી નાખીશ એવી ધમકી આપતા વોઇસ મેસેજ મોકલ્યો હતો. આ વોઈસ રેકોર્ડિંગ અને વીડિયો ક્લિપ પણ પોલીસ સમક્ષ રજુ કરવામાં આવ્યું હતું અને આ બાબતે પાંચ કિન્નર વિરુદ્ધ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પાટણ રોડ પર રિક્ષાની ટક્કરે યુવકનું મોત:19 વર્ષીય એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ, રિક્ષાચાલક ફરાર
પાટણના બોરસણ-રામનગર રોડ પર એક ગંભીર હિટ એન્ડ રન અકસ્માતમાં 19 વર્ષીય યુવક મિત વિષ્ણુ પટેલનું મોત થયું છે. પૂરઝડપે આવતી રિક્ષાએ એક્ટિવાને ટક્કર મારતા આ ઘટના બની હતી. અકસ્માત બાદ રિક્ષાચાલક વાહન છોડીને ફરાર થઈ ગયો હતો. આ મામલે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ચંદ્રુમાણા ગામના વતની અને હાલ બોરસણ ખાતે રહેતા મિત વિષ્ણુભાઈ પટેલ (ઉંમર 19) ગત 11 માર્ચ, 2026ના રોજ સવારે આશરે 11:00 વાગ્યે તેમના એક્ટિવા પર બોરસણથી પાટણ તરફ જઈ રહ્યા હતા. પદ્મનાથ ચોકડી નજીક બોરસણ-રામનગર રોડ પર સામેથી આવતી રિક્ષાના ચાલકે તેમને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં મિતને માથાના તેમજ શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકના સંબંધી ભૂમિક પ્રહલાદભાઈ પટેલે રિક્ષાચાલક વિરુદ્ધ પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બી.એન.એસ. (B.N.S.) ની કલમ 281, 125(a), 106(1) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 અને 134 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિજયસિંહ રણજીતસિંહ ડાભી આ કેસની તપાસ ચલાવી રહ્યા છે.
કવાંટના માણકા રોડના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ:સ્થાનિકોએ હાથથી ડામર ઉખાડ્યો; ફરી રોડ બનાવવાની માંગ કરી
છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના માણકા ગામે નવનિર્મિત રોડમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. આ રોડ બન્યાને માંડ ૨૦ દિવસ થયા છે, છતાં ડામર હાથથી ઉખડી રહ્યો છે અને કાંકરી પણ નીકળી રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ રોડ એટલો હલકી કક્ષાનો બનાવવામાં આવ્યો છે કે તેના પરથી વાહનો પસાર થતાં જ કાંકરી ઉખડવા માંડી છે. હાથ વડે ડામર ખેંચતા તે સરળતાથી નીકળી જાય છે, જે કામની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. માણકા ગામમાંથી પસાર થતો આ ડુંગરવાળો રસ્તો વર્ષોથી ખરાબ હાલતમાં હતો, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. વાહનચાલકોને ડુંગર ચઢવામાં પણ મુશ્કેલી પડતી હતી. લોકોની સતત માંગ બાદ તંત્ર દ્વારા આ પાકા ડામર રોડનું નિર્માણ કાર્ય હાથ ધરાયું હતું. છોટા ઉદેપુર જિલ્લો આદિવાસી બહુલ્ય ધરાવતો અને અંતરિયાળ ડુંગરાળ વિસ્તાર છે, જ્યાં આજે પણ ઘણા સ્થળોએ પાકા રસ્તાનો અભાવ જોવા મળે છે. એક તરફ સરકાર છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ એજન્સીઓ દ્વારા આવા કામોમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિક લોકોને ભય છે કે આગામી ચોમાસામાં આ રોડ સંપૂર્ણપણે તૂટી જશે. તેમણે આ મામલે જવાબદાર એજન્સી સામે તપાસ કરીને રોડનું ફરીથી ગુણવત્તાયુક્ત નિર્માણ કરવાની માંગ કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે આણંદના ચિખોદરા ખાતે ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના સ્વર્ગસ્થ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારની પ્રાર્થનાસભામાં હાજરી આપી હતી. મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને શોકસંતૃપ્ત પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી. સ્વર્ગસ્થ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર 1975થી જાહેરજીવનમાં સક્રિય હતા. તેમણે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત ચિખોદરા ગામના સરપંચ તરીકે કરી હતી. બાદમાં તેઓ 1995માં પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે રાજ્ય સરકારમાં કૃષિ રાજ્ય મંત્રી તરીકે પણ સેવા આપી હતી. ગોવિંદભાઈ પરમાર વર્ષ 2017 અને 2022માં ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે ફરીથી ચૂંટાયા હતા. સ્થાનિક સમાજ જીવનમાં તેમની મજબૂત પકડ હતી. તેમના અવસાનથી આ ક્ષેત્રમાં મોટી ખોટ પડી છે. આ પ્રાર્થનાસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી સંજયસિંહ મહિડા, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી, નાણા રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત અગ્રણીઓમાં જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, ધારાસભ્યો વિપુલભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ, અગ્રણી સંજયભાઈ પટેલ, ભૂતપૂર્વ ધારાસભ્યો જયંતભાઈ બોસ્કી, નિરંજનભાઈ પટેલ, જસુભા, કાંતિભાઈ સોઢા પરમાર, દિલીપભાઈ પટેલ, કેસરીસિંહ સોલંકી, વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા, ભૂતપૂર્વ મંત્રી ભરતસિંહ સોલંકી અને ચારુતર વિદ્યામંડળના ચેરમેન ભીખુભાઈ પટેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ચિખોદરા ગામના સરપંચ નીલમબેન અશોકભાઈ પરમાર, સ્વર્ગસ્થ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના મોટા પુત્ર અશોકભાઈ ગોવિંદભાઈ પરમાર અને નાના પુત્ર હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર, તેમના પત્ની મણીબેન ગોવિંદભાઈ પરમાર, દીકરીઓ ચંપાબેન ગોવિંદભાઈ પરમાર, નીતાબેન અલ્પેશકુમાર ચાવડા અને મીનાબેન રાજેન્દ્રસિંહ ગોહિલ, તેમજ ગોવિંદભાઈ પરમારના ભાઈ મેલાભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા.
મોડાસાના શામળાજી રોડ પર આવેલા સીએનજી પંપ પાછળના જંગલ વિસ્તારમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી. ભારે પવનને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ મોડાસા ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ટીમ સાથે સ્થળ પર પહોંચી હતી. ફાયર ફાઈટરોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આ આગમાં જંગલ વિસ્તારની વનરાજી બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે, સીએનજી પંપ નજીક હોવા છતાં કોઈ મોટી દુર્ઘટના ટળી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઉનાળાની શરૂઆત થતા જ આગ લાગવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે.
ગ્રીન સિટી તરીકે ઓળખાતા ગાંધીનગરને હવે પ્લાસ્ટિક મુક્ત બનાવવાના અભિયાનમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. ગાંધીનગર મહાનગરપાલિકા અને ખાનગી કંપનીના સંયુક્ત ઉપક્રમે શહેરમાં પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન માટે આકર્ષક પાણીની બોટલના આકારનીબોટલ શેપ ડસ્ટબિન્સ મૂકવામાં આવી છે. આ પહેલ માત્ર સ્વચ્છતા પૂરતી મર્યાદિત નહીં પરંતુ નાગરિકોમાં પ્લાસ્ટિક રિસાયકલિંગ પ્રત્યે જાગૃતિ લાવવા માટેનો એક પ્રયાસ કરાયો છે. પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન માટે આકર્ષક પાણીની બોટલના આકારની ડસ્ટબિન્સ મૂકવામાં આવીગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન માટે આકર્ષક પાણીની બોટલના આકારની બોટલ શેપ ડસ્ટબિન્સ મૂકવામાં આવી છે. આ માટે મહાનગરપાલિકા દ્વારા શહેરના એવા સ્થળોની પસંદગી કરવામાં આવી છે જ્યાં લોકોની અવરજવર સૌથી વધુ રહેતી હોય છે. હાલમાં પ્રથમ તબક્કા હેઠળ ખ 0 સર્કલ મેક્ડોનાલ્ડ્સ પાસેનો વિસ્તાર,સરગાસણ ઝેડ બ્લુ શો-રૂમ પાસે,સેક્ટર-16 માધવી ડેરી પાસે અને સેક્ટર-9 સરિતા ઉદ્યાન પાસે બોટલ શેપ ડસ્ટબિન્સ મૂકવામાં આવી છે.સામાન્ય રીતે કચરાપેટીઓ જોતા લોકોમાં સૂગ ચડતી હોય છે પરંતુ આ બિન્સને આકર્ષક રીતે પાણીની બોટલ જેવો આકાર આપવામાં આવ્યો છે. પ્લાસ્ટિક સીધું જ રિસાયકલિંગ માટે મોકલવામાં આવશેઆ પાછળનો મનોવૈજ્ઞાનિક હેતુ એ છે કે, લોકો દૂરથી જ સમજી શકે કે આ માત્ર પ્લાસ્ટિકની બોટલો માટે છે. બોટલ્સ ફોર ચેન્જ પ્રોગ્રામ હેઠળ આ બીન્સ દ્વારા એકત્રિત કરવામાં આવેલ પ્લાસ્ટિક સીધું જ રિસાયકલિંગ માટે મોકલવામાં આવશે. જેથી, તે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર ફરીથી ઉપયોગમાં લઈ શકાય. રસ્તા પર કે ગટરમાં પ્લાસ્ટિક ફેંકવાને બદલે આ નિર્ધારિત બિન્સનો ઉપયોગ કરેપર્યાવરણ નિષ્ણાતોના મતે પ્લાસ્ટિક જ્યારે ભીના કચરા સાથે ભળે છે ત્યારે તેને રિસાયકલ કરવું લગભગ અશક્ય બને છે. GMCના સૂત્રોના જણાવ્યા મુજબ જો નાગરિકો પ્લાસ્ટિક વેસ્ટને ઉદભવ સ્થાન પર જ એટલે કે આ બિન્સમાં જ અલગથી નાખે તો તેને અલગ તારવવાની મહેનત ઘટે છે અને પ્રદૂષણ અટકે છે. આ પ્રોજેક્ટ દ્વારા પાટનગરના વેસ્ટ મેનેજમેન્ટ મોડેલને વધુ આધુનિક બનાવવાનો લક્ષ્યાંક છે. શહેરના નાગરિકોને છે કે, તેઓ આ અભિયાનમાં સક્રિયપણે જોડાય. રસ્તા પર કે ગટરમાં પ્લાસ્ટિક ફેંકવાને બદલે આ નિર્ધારિત બિન્સનો ઉપયોગ કરે. જેથી ગ્રીન સિટી ગાંધીનગરને હવે પ્લાસ્ટિક ફ્રી સિટી બનાવવાની દિશામાં આ એક મોટું કદમ સાબિત થશે.
ગઢડામાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનના કામમાં ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાના મટીરીયલના ઉપયોગના આરોપ સાથે નગરપાલિકાના વિપક્ષ નેતા મીત ડાંગરે ફરી મુખ્યમંત્રીને પત્ર લખી ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે. આ પ્રોજેક્ટ અંદાજે ₹23 કરોડના ખર્ચે GUDC ગાંધીનગર અંતર્ગત ઘેલોનદી પર હાથ ધરવામાં આવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે જો દસ દિવસમાં આ મામલે તપાસ શરૂ નહીં થાય, તો 23 માર્ચે ગઢડા શહેર બંધ રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. અગાઉ પણ આ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં ફરી પત્ર લખવામાં આવ્યો છે. આ ડ્રેનેજ લાઇનનું કામ જયંતિ સુપર કન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવ્યું છે. વિપક્ષ નેતાનો આરોપ છે કે આ યોજનામાં ગંભીર અનિયમિતતાઓ છે અને હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે. તેમણે દાવો કર્યો છે કે ગટર લાઇનનું યોગ્ય લેવલ ન લેવાતા દૂષિત પાણી બહાર નીકળે છે. ગટરનું પાણી STP (સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) સુધી પહોંચવાને બદલે સીધું પવિત્ર ઘેલા નદીમાં ભળી રહ્યું છે. આના કારણે ઘેલા નદીનું પ્રદૂષણ વધી રહ્યું છે, જે યાત્રાળુઓ અને નાગરિકોના આરોગ્ય સાથે ચેડા સમાન છે. વધુમાં, નવી લાઇન નાખવાની મંજૂરી હોવા છતાં જૂની લાઇન જ યથાવત રાખી હોવાનો પણ આરોપ છે. મીત ડાંગરે આ સમગ્ર મામલે વિજીલન્સ અથવા ક્વોલિટી કન્ટ્રોલ દ્વારા ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે. જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો ગઢડા શહેર બંધ રાખીને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
સરેલ સોલાર પ્લાન્ટમાંથી લાખોના વાયર ચોરાયા:એક વર્ષમાં સમયાંતરે ચોરી, અજાણ્યા સામે ફરિયાદ
પાટણ જિલ્લાના હારીજ તાલુકાના સરેલ ગામમાં આવેલા હિંડુજા સોલાર પ્લાન્ટમાંથી છેલ્લા એક વર્ષ દરમિયાન લાખો રૂપિયાના વાયર, બેટરી અને અન્ય ઇલેક્ટ્રિક સાધનોની ચોરી થઈ છે. આ અંગે હારીજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. હારીજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, પ્લાન્ટના સ્ટોર ઇન્ચાર્જ માંગીલાલ ચોખારામ શર્માએ આ ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે સરેલ સ્થિત કંપનીના પ્લાન્ટમાં સોલાર પેનલ, કેબલ અને અન્ય ઇલેક્ટ્રિક સાધનો ખુલ્લામાં રાખવામાં આવે છે. છેલ્લા એક વર્ષમાં પ્લાન્ટના વિવિધ બ્લોક અને સ્ટોરમાંથી સામગ્રીની ચોરી થઈ છે. સ્ટોકની ગણતરી અને ચકાસણી દરમિયાન માલસામાન ઓછો જણાતા ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. અધિકારીઓની તપાસમાં સ્ટોકમાં મોટી ઘટ હોવાનું સામે આવ્યું હતું. ચોરી થયેલી વસ્તુઓની યાદીમાં બ્લોક નંબર 10, 13 અને 15 માંથી 36 નંગ 10-વે હાર્નેસ, 10 નંગ રાફ્ટર અને 15 નંગ કનેક્ટિંગ પ્લેટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સ્ટોરમાંથી 54542 મીટર 1C x 6 sqmm સોલાર DC કેબલ, બ્લોક નંબર 14 માંથી કુલ 1096 મીટર ACX 300 રેડ અને બ્લેક વાયર, 2 નંગ UPS બેટરી, 30 નંગ LED લાઇટ અને અન્ય કેબલ વાયરની પણ ચોરી થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. હારીજ પોલીસે અજાણ્યા ચોર શખ્સો વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 303(2) અને 329(3) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર નિરવકુમાર અમૃતલાલ શાહ કરી રહ્યા છે. પોલીસ દ્વારા પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીઓ અને અન્ય સંભવિત પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ વધારવામાં આવી રહી છે.
સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક કારીગરો તથા નાના ઉદ્યોગકારોને કાયમી બજાર ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પહેલ કરી છે. ગુજરાત શહેરી આજીવિકા મિશન અંતર્ગત અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં એક-એક ‘નમો સ્વદેશી અર્બન મોલ’ બનાવવામાં આવશે. આ મોલમાં સ્થાનિક કારીગરો, મહિલા સ્વસહાય જૂથોની બહેનો, શેરી ફેરીયાઓ અને નાના વેપારીઓને પોતાના સ્વદેશી ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવાની સુવિધા મળશે. સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પગલાં લેવામાં આવ્યાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’, ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વોકલ ફોર લોકલ’ જેવા અભિયાનોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર આ પહેલ આગળ ધપાવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શહેરી વિસ્તારોમાં સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળ ગુજરાત શહેરી આજીવિકા મિશન દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી રહી છે. ‘નમો સ્વદેશી અર્બન મોલ’ દ્વારા સ્વદેશી ઉત્પાદનોના વેચાણ માટે આધુનિક અને સુવ્યવસ્થિત બજાર વ્યવસ્થા ઉભી કરવામાં આવશે, જેથી શહેરના લોકો એક જ જગ્યાએથી વિવિધ સ્વદેશી વસ્તુઓ સરળતાથી ખરીદી શકે. ચાર મોટા શહેરોમાં કાયમી સ્વદેશી અર્બન મોલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યોઉલ્લેખનીય છે કે, વર્ષ 2025-26 દરમિયાન રાજ્યની 16 મહાનગરપાલિકાઓમાં પ્લાસ્ટિક ફ્રી ‘સ્વદેશી ફેસ્ટિવલ’ અંતર્ગત સ્વદેશી મેળાઓ યોજાયા હતા. તેમાં સ્થાનિક કારીગરો, સ્વસહાય જૂથો અને નાના વેપારીઓને તેમના ઉત્પાદનો પ્રદર્શિત કરવા માટે તક મળી હતી. હવે આ પહેલને વધુ મજબૂત બનાવવા માટે ચાર મોટા શહેરોમાં કાયમી સ્વદેશી અર્બન મોલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2026-27ના બજેટમાં ‘નમો સ્વદેશી અર્બન મોલ’ અને સ્વદેશી મેળાઓના આયોજન માટે રૂ. 45 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ મોલ શરૂ થતાં સ્થાનિક કારીગરો અને નાના ઉદ્યોગકારોને સ્થિર બજાર મળશે તેમજ ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને વધુ વેગ મળશે.

30 C