ઉમિયા માતાજી ઈશ્વરરામજી ટ્રસ્ટ દ્વારા સમૂહલગ્ન યોજાયા:વાંઢાયમા 9 યુગલો પ્રભુતામાં પગલાં માંડ્યા
પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ વસંત પંચમીએ ઉમિયા માતાજી ઈશ્વરરામજી ટ્રસ્ટ વાંઢાય દ્વારા ઉમિયા માતાજી મંદિરના પટાંગણમાં સમૂહલગ્નનું આયોજન કરાયું હતું. જેમાં 9 નવ યુગલોએ ગૃહસ્થાશ્રમમાં પ્રદાર્પણ કર્યું હતું. આ પ્રસંગે યોજાયેલા આશીર્વાદ સમારંભમાં સંસ્થાના પ્રમુખ હંસરાજભાઈ ધોળુએ જણાવ્યું હતું કે સનાતન ધર્મમાં 16 સંસ્કારો પૈકી એક ગૃહસ્થાશ્રમ સંસ્કાર વિવાહ પદ્ધતિથી થાય છે. ટ્રસ્ટી ડો. કે. વી. પાટીદારે પાટીદાર સમાજે સમૂહલગ્નની સૌથી પહેલા શરૂઆત કરી અન્ય સમાજને પ્રેરણા આપી છે તેમ જણાવ્યું હતું. કેન્દ્રીય યુવા સંઘના પૂર્વ પ્રમુખ ગૌરાંગભાઈ ધનાણીએ સમાજ ઉત્કર્ષ સાથે રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદાર બનવા હાકલ કરી હતી. સંસ્થાના મહામંત્રી બાબુભાઈ ચોપડાએ નવદંપત્તિઓને સુખી ગૃહસ્થ જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના સદસ્યા જયાબેન ચોપડા, સંસ્થાના કર્ણધારો તેમજ દાતાઓ મંચસ્થ રહ્યા હતા. પદાધિકારીઓના હસ્તે ક્ધયાઓને પંચ ધાતુના ગણપતિ, મા માટલા, માતાજીની છબી, રોકડ, ચાંદીનો જુડો તેમજ વરને તલવાર મૈસુર (બેંગ્લોર) નિવાસી દામજીભાઈ ધનજી હળપાણી પરિવાર અને ટ્રોલી બેગ મમાઈમોરા રામામંડળ તરફથી અર્પણ કરાયા હતા.મંડપારોપણ, વરરાજાના સ્વાગત સામૈયા તેમજ હસ્ત મેળાપની વિધિ ચેતન ઠાકર ઉપરાંત અન્ય ભૂદેવોએ કરાવી હતી. બપોરે જાનોને વિદાય આપવામાં આવી હતી. નવદંપતીઓને માતાજી સમક્ષ કાયમી વ્યસનમુક્ત રહેવાના પૂજારી કમલેશ પાંડેએ સંકલ્પ લેવડાવ્યા હતા. આયોજનને સફળ બનાવવા સમિતિના પ્રમુખ રમેશ પોકારના માર્ગદર્શન હેઠળ સમિતિઓના કન્વીનરો ઉપરાંત આસપાસના યુવક અને મહિલા મંડળના ભાઈ-બહેનો તેમજ આયોજન સમિતિના અગ્રણીઓ મનીષ ભાવાણી, કરમશી પોકાર, શાંતિ ભાવાણી, અશોક પ્રેમજીયાણી, રતિલાલ પોકાર, નિલેશ ચૌહાણ, વાલજી વેલાણી, વિનોદ ધોળુ, ભગવાનજી ભગત, જેન્તીભાઈ ચોપડા, કિરીટ પરવાડીયા, હીરાલાલભાઈ, જીગ્નેશ ધોળુ, શુભમ ભાવાણી, રાજેન્દ્ર રામજીયાણી વગેરે જહેમત ઉઠાવી હતી. પ્રભુલાલ ભગત, ભાઈલાલભાઈ, કાંતિભાઈ, ભગવાનભાઈ, વાલાભાઈ, ખીમજીભાઈ, જેન્તીભાઈ વગેરેનો પણ સહયોગ મળ્યો હતો. સ્વાગત મંત્રી પ્રવીણભાઈ ધોળુ અને આભાર દર્શન ખજાનચી ગંગારામ ચૌહાણ તેમજ સંચાલન આયોજન સમિતિના મહામંત્રી પ્રાણલાલ રામજીયાણીએ કર્યું હતું.
અબડાસા તાલુકાના મિયાણી ગામની સીમમાં આવેલ બેન્ટોનાઈટ ખનીજની લીઝ પર પાળો કરી રસ્તો બંધ કરી દેવા મામલે બે જૂથ સામસામે આવી ગયા હતા, રોકડ રૂપિયાની લુંટ અને તોડફોડ સહીત પથ્થર, ધોકા તેમજ પાઈપથી હિંસક જુથ અથડામણ કરનાર બન્ને પક્ષના 31 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ ખીરસરા(વિંઝાણ) ગામના ફરિયાદી અલ્તાફ મોહમદહુશેન હિંગોરાએ કોઠારા પોલીસ મથકે નુંધાતળ ગામના આરોપી હનીફ જાકબ બાવા પઢિયાર, હાફીઝ કાસમ પઢિયાર, ગફુર પઢિયાર, અજીમ પઢિયાર, સલીમ પઢિયાર, કારા મામદ સાડ અને અજાણ્યા પંદરેક ઈસમો સામે ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 25 જાન્યુઆરીના સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં બન્યો હતો. આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી ફરિયાદીની લીઝ તરફ જતો રસ્તો હિટાચી મશીનથી બંધ કરતા હતા. જેથી રસ્તો ખુલ્લો રાખવાનું કહેતા આરોપીઓએ મારી નાખવાના ઈરાદે ધોકા અને પાઈપથી હુમલો કરી ઈજાઓ પહોચાડી હતી. જ્યારે સામા પક્ષે કોટડા(રોહા)ના ફરિયાદી હમીદ જાનમામદ હિંગોરાએ ખીરસરા(વિંઝાણ)ગામના આરોપી રીયાઝ મામદહુશેન હિંગોરા, અલ્તાફ મામદહુશેન હિંગોરા, જાવેદ મામદહુશેન હિંગોરા, મામદહુશેન હિંગોરા, નાનાડો હિંગોરા અને અજાણ્યા પાંચ આરોપી સામે ગુનો નોધાવ્યો છે. બનાવ મિયાણી સીમમાં આવેલ વિપુલભાઈ ભાનુશાલીની લીઝ ખાતે બન્યો હતો. આરોપીઓએ ગેરકાયદેસર રીતે મંડળી રચી માટીનો પાળો ન કરવા બાબતે બોલાચાલી કરી હતી. જે બાદ હિટાચી મશીનની ચાવી પડાવી લઇ રોકડ રૂપિયા 10 હજારની લુંટ કરી હતી અને પથ્થરો મારી હિટાચી મશીનમાં તોડફોડ કરી ધોકાથી માર મારી ઈજાઓ પહોચાડી હતી. સમગ્ર મામલે પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સિટી એન્કર:સૂર, તાલ અને લોક-સંસ્કૃતિના મહાસંગમ સમાન ‘વિન્ટર ફેસ્ટિવલ’ પૂર્ણ
છેલ્લા પાંચ દિવસોથી ચાલી રહેલા લોક સાંસ્કૃતિક મહોત્સવ - વિન્ટર ફેસ્ટિવલ - 2026 ભારતના ઉત્તર-પૂર્વના વિવિધ રાજ્યો, કચ્છ અને ગુજરાતના કલાકારોના લોકગીતો, લોકસંગીત અને લોકનૃત્યો સાથે રવિવારે પૂર્ણ થયો હતો.કચ્છ અને ભારતના વિવિધ રાજ્યોમાંથી આવેલ કલાકારો અને કારીગરોએ ડાન્સ, મ્યુઝિક, ક્રાફ્ટ અને ફૂડનો અનેરો સમન્વય રચીને કલાપ્રેમી લોકોને અનહદ આનંદની અનુભૂતિ કરાવી હતી. અંતિમ દિવસે સાંજે ગાર્ડન સ્ટેજ પર ગાયિકા શબનમ વિરમાણીએ કબીર, ગંગાસતી-પાનબાઈ, મીરાંબાઈ વગેરેના ભજનોથી સૌ કોઈ ઉપસ્થિત કલાપ્રેમીઓને મંત્ર મુગ્ધ કર્યા હતા. ત્યારબાદ મધ્યપ્રદેશના લોકરાગ સમિતિ ડાન્સ ગ્રૂપ, ઝંકાર ડાન્સ એકેડેમી અને ધ કચ્છીસ ગ્રૂપ, હિતેન ડાન્સ એકેડમી અને અપ્સરા ડાન્સ એકેડમી તેમજ આ બધા જ ગ્રૂપોએ સાથે મળીને ફ્યુઝન ડાન્સ રજૂ કરી વિવિધ નૃત્યોની જમાવટ કરી હતી. અંતિમ દિવસનું મુખ્ય આકર્ષણ લોકગાયક ઓસમાણ મીર અને આમિર મીરની પ્રસ્તુતિ રહી હતી. વિશાળ જનમેદની સમક્ષ ઓસમાણ મીર અને તેમના પુત્ર આમિર મીરે ગઝલો, ભજનો, લોકગીતો તેમજ હિન્દી ફિલ્મોના ગીતોની જમાવટ કરીને આજના કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા. આ કાર્યક્રમમાં કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા, કૃતાર્થસિંહ જાડેજા ભૂતપૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી, સ્મૃતિવનના ડાયરેક્ટર, મનોજ પાંડે વગેરે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એગ્રોસેલના ચેરમેન દીપેશભાઇ શ્રોફ તથા શ્રુજન-એલ. એલ. ડી. સી.ના મેનેજિંગ ટ્રસ્ટી અમીબહેન શ્રોફ દ્વારા કલાકારોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શ્રુજન ક્રિએશન્સ, એલ. એલ. ડી. સી. ક્રાફ્ટ મ્યુઝિયમ, એગ્રોસેલ, વિ.આર.ટી.આઈ.-વિ.આર.ડી.આઈ. વગેરેના કર્મચારીઓએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. દરેક કાર્યક્રમનું સંચાલન કપિલ ગોસ્વામી દ્વારા કરાયું હતું. વિન્ટર ફેસ્ટિવલનું આયોજન એલ. એલ. ડી. સી. ક્રાફટ મ્યુઝિયમના પી.આર, આઈ.ટી, ઈવેંટ્સ અને ગેલેરી હેડ મહેશભાઇ ગોસ્વામીએ કર્યું હતું. સાથી હાથ મિલાના, દાતાઓના સહયોગથી ઉત્સવ સંપન્નસમગ્ર આયોજનમાં પ્લેટિનમ ડોનર તરીકે એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ, ગોલ્ડ ડોનર તરીકે ટ્રાન્સપેક ક્રિએટિવ કેમેસ્ટ્રી, આરતી ફાઉન્ડેશન, એક્સેલ ગ્રૂપ, સિલ્વર ડોનર તરીકે યુ. પી. એલ., ખીમજી રામદાસ, એસ.વી.સી.ટી. ગ્રૂપ, અંશુલ સ્પેશિયાલિટી મોલેક્યુલસ, બ્રોન્ઝ ડોનર તરીકે લીલાઘર પાસૂ, સુમિટોમો કેમિકલ્સ ઈન્ડિયા લિમિટેડ, પંજાબ કેમિકલ્સ એન્ડ ક્રોપ પ્રોટેક્શન લિમિટેડ, પબ્લિસિટી અને વિઝ્યુઅલ પાર્ટનર તરીકે એન. કે. પબ્લિસિટી સ્ક્રીન, કચ્છ ફૂડ પાર્ટનર તરીકે કૂક કેટરિંગ વગેરેનો આર્થિક સહયોગ રહ્યો હતો.
કામધેનુ યુનિવર્સિટીની પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય ભુજ તથા ગુજરાત વેટનરી કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે “વેટનરી ઈથીક્સ એન્ડ પ્રોફેશનલિઝમ – શેપિંગ ફ્યુચર ઓફ એનિમલ હેલ્થ કેર” વિષય પર રાજ્યકક્ષાનો સેમિનાર યોજાયો હતો. આ સેમિનારનું આયોજન કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. પી. એચ. ટાંક સાહેબ તથા ગુજરાત વેટનરી કાઉન્સિલના પ્રેસિડેન્ટ ડૉ. બી.ડી. પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કામધેનુ યુનિવર્સિટીના ડિરેક્ટર ઓફ રિસર્ચ ડૉ. આર. જી. શાહ, વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. જે. એસ. પટેલ, ગુજરાત વેટનરી કાઉન્સિલના કુલસચિવ ડૉ. એન. બી. પ્રજાપતિ, પશુપાલન વિભાગ કચ્છના ડેપ્યુટી ડાયરેક્ટર ડૉ. આર. ડી. પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર રાજ્યમાંથી 200થી વધુ પશુચિકિત્સકોએ આ સેમિનારમાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સેમિનારમાં વિવિધ નિષ્ણાતો દ્વારા પશુ આરોગ્ય સેવાઓમાં નૈતિક મૂલ્યો , વ્યવસાયિક જવાબદારી, કચ્છના પશુપાલન વૈવિધ્ય, ભવિષ્યમાં જરૂરી સંશોધન, વિવિધ પશુપ્રજાતિઓના વિકાસ, બન્ની ભેંસની દેશવ્યાપી ઓળખ તેમજ ઊંટના દૂધના માર્કેટિંગ જેવા મહત્વપૂર્ણ વિષયો પર વ્યાખ્યાન આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત આયોજન ઓર્ગેનાઈસિંગ સેક્રેટરી ડૉ. કે. કે. હડિયા તથા કો-ઓર્ગેનાઈસિંગ સેક્રેટરી ડૉ. એચ. બી. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
ડિજિટલ અરેસ્ટ:નિવૃત મહિલા PSI ડિજિટલ અરેસ્ટ, 2 મહિનામાં 83.44 લાખ પડાવી લેવાયા
સાયબર માફિયાઓ લોકોને પોલીસ અને સીબીઆઈના નામે ડરાવી ધમકાવી રૂપિયા પડાવતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે તેવામાં હવે ભુજમાં રહેતા 60 વર્ષીય નિવૃત મહિલા પીએસઆઈ સાયબર માફિયાઓની જાળમાં ફસાઈ ગયા હોવાની ઘટના સામે આવી છે ! આરોપીઓએ સીમકાર્ડની સંડોવણી અને બેંક ખાતામાં 6 કરોડના વ્યવહાર મામલે મની લોંડરીંગનો કેસ થયો હોવાનું કહી બે મહિના સુધી ડિજિટલ અરેસ્ટ રાખી સુપ્રીમ કોર્ટના જજ, સીબીઆઈ ચીફ અને મુંબઈ પોલીસના નામે ડરાવ્યા બાદ રૂપિયા 83.44 લાખ પડાવી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ કોડકી રોડ પર વિનાયકી રેસીડેન્સીમાં એકલા રહેતા ફરિયાદી નિવૃત મહિલા પીએસઆઈ રાજ્યલક્ષ્મી ચિદંબરમ જોષીએ બોર્ડર રેન્જ સાયબર પોલીસ મથકે અજાણ્યા મોબાઈલ નંબરના ધારકો સામે ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ 26 નવેમ્બર 2025 ના સાડા નવેક વાગ્યાના અરસામાં અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને TRAI ડીપાર્ટમેન્ટમાંથી બોલતો હોવાનું કહી ફરિયાદીનો સીમકાર્ડ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલો હોવાથી બંધ થઇ જશે તેમ કહ્યું હતું. જે બાદ મુંબઈના કોલાબા પોલીસ તરફ કોલ કનેક્ટ કર્યો હતો. જેમાં આરોપીએ મની લોંડરીંગના કેસ બાબતે મુંબઈ આવવા કહ્યું હતું. જેથી ફરિયાદીએ ફોન કટ કરી નાખ્યો હતો. ત્યારબાદ આરોપીઓએ વોટ્સએપ પર વિડીયો કોલ કર્યો અને પોલીસ યુનિફોર્મમાં રહેલા આરોપીએ ફરિયાદીના કેનેરા બેંકના ખાતામાં 6 કરોડનો વ્યવહાર થયેલો હોવાનું કહી મુખ્ય આરોપી નરેશ ગોયલ સાથે કનેક્શન ખુલ્યો હોવાનું કહ્યું હતું. જે બાદ વિડીયો કોલમાં સીબીઆઈનો ચીફ બનેલો આરોપી જોડાયો હતો અને કેસથી બચવા માટે રૂપિયા આપવા પડશે તેવું કહ્યું હતું. ત્યારબાદ ત્રીજો આરોપી સુપ્રીમ કોર્ટનો જજ બની વિડીયો કોલમાં જોડાયો હતો અને ફરિયાદીને હાઉસ અરેસ્ટ કર્યા હતા. ડરી ગયેલા વૃદ્ધા કેસથી બચવા માટે આરોપીઓએ આપેલા બેંક ખાતાઓમાં 26 નવેમ્બરથી 23 જાન્યુઆરી સુધીના બે મહિનામાં અલગ અલગ સમયે કુલ રૂપિયા 84,44,047 ટ્રાન્સફર કરી દીધા હતા. સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ઉચ્ચ એજન્સીઓએ જાણ કરતા પોલીસે અરેસ્ટમાંથી છોડાવ્યાસતત બે મહિનાથી આરોપીઓની નજર સામે રહેલા ફરિયાદી ડરેલા હતા અને આરોપીઓએ જે કહ્યું તે કરી રહ્યા હતા. બેંકમાં પણ વિડીયો મારફતે તેમની પર નજર રખાઈ રહી હતી. જે બાદ 24 જાન્યુઆરીના અચાનક પોલીસ ફરિયાદીના ઘરે પહોચી હતી અને તેમની સાથે ઠગાઈ થઇ હોવાનું કહી ડિજિટલ અરેસ્ટમાંથી છોડાવ્યા હતા. આ મામલે તપાસ કરનાર બોર્ડર રેન્જ સાયબર પોલીસ મથકના પીઆઈ કે.એમ.રાઠોડ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે,વૃદ્ધા સાથે ફ્રોડ થવા મામલે અમને ઉપરી એજન્સીઓએ જાણ કરી હતી જેથી તાત્કાલિક તેમના ઘરે જઈ ડિજિટલ અરેસ્ટમાંથી છોડાવ્યા હતા. જોઈન્ટ ખાતાના 40 લાખ માટે બહેનને તેડવા દિલ્હી ગયાફરિયાદીએ ટુકડે ટુકડે 43 લાખ આપી દીધા બાદ પણ આરોપીઓએ રૂપિયાની માંગણી કરી હતી. જેથી ફરિયાદીએ પોતાના અને તેમની બહેનના નામે પોસ્ટમાં જોઈન્ટ ખાતામાં 40 લાખ પડેલા હોવાની વાત કરી હતી. જેથી આરોપીઓએ ફરિયાદીને દિલ્હી જવા પરવાનગી આપી હતી અને ફરિયાદી દિલ્હી જઈ પોતાની બહેનને તેડી આવ્યા હતા અને 40 લાખ રૂપિયા આરોપીઓના ખાતામાં નંખાવી દીધા હતા.
ભાસ્કર ઈનસાઈડ:ડીડીઓ અને મિરજાપરના મુખ્ય શિક્ષિકા વચ્ચે ટકરાવ
સરકારી કામોમાં હંમેશા ગુણવત્તા અને પારદર્શિતાને લઈને આક્ષેપ ઉઠતા રહે છે. તેવા જ એક બનાવમાં ભુજ તાલુકાના મિરજાપર ગામની કુમાર શાળાના મુખ્ય શિક્ષિકા અને જિલ્લા વિકાસ અધિકારી વચ્ચે ઉગ્ર બબાલ સર્જાઈ હતી, અને પોલીસ બોલવાની ફરજ પડી હોવાનો મામલો સામે આવ્યો છે. મિરજાપર કુમાર શાળામાં સ્કુલની નવી બનેલી બિલ્ડીંગમાં કામની ગુણવતા નબળી હોવાના કારણે મુખ્ય શિક્ષિકા કમ્પ્લીશન સર્ટિફિકેટ પર સહી કરતા ન હતા. તેમને આ મુદે શિક્ષણ વિભાગમાં લેખિત રજૂઆત પણ કરી હતી. શાળાના મુખ્ય શિક્ષિકાએ જણાવ્યું હતું કે ઉપરના ફ્લોર પર પાણી ઢોળીએ તો તે પાણી છતમાંથી નીચે આવતું હતું, કામની ગુણવતા સારી ન હોવાથી કમ્પ્લીશન સર્ટિફિકેટ પર સહી કરી ન હતી. બે સપ્તાહ પૂર્વે જિલ્લા વિકાસ અધિકારીએ પણ શાળાની મુલાકાત લીધી હતી. મંગળવારે ફોન આવ્યો હતો કે ડીડીઓએ મુલાકાત માટે બોલાવ્યા છે. જેથી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જિલ્લા પંચાયતમાં મળીને ડીડીઓની ચેમ્બરમાં મુલાકાત માટે ગયા હતા. પણ ડીડીઓએ ખુરસી પર બેસવા પણ ના દીધા અને તોછડી ભાષાનો ઉપયોગ કરીને મહિલા શિક્ષિકા હોવા છતાં ખરાબ વર્તન કર્યું હતું. આ મુદે શિક્ષણ સંઘના આગેવાનોને પણ જાણ કરવામાં આવતા સંઘના આગેવાનો પણ જિલ્લા પંચાયત ખાતે આવ્યા હતા. જો કે ડીડીઓએ સંઘના આગેવાનો સાથે મુલાકાત પણ કરી ન હતી. મુખ્ય શિક્ષિકા વિલાશબા જાડેજાએ જણાવ્યું હતું કે અમે પોલીસમાં અરજી આપી છે. પણ પોલીસે અમારી ફરિયાદ નોંધી નથી. આ સમગ્ર ઘટના બાબતે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે જણાવ્યું હતું કે શાળાના મુખ્ય શિક્ષિકાએ અમને રજૂઆત કરી હતી કે કામની ગુણવતા નબળી છે, એટલે મેં શાળાની મુલાકાત કરી હતી, મુલાકાત સમયે કામમાં થોડી ક્ષતિઓ જણાઈ આવી હતી. જેથી સર્વે શિક્ષાના ઇન્જિનીયરને આ ક્ષતિઓ દુર કરીને કામગીરી પૂર્ણ કરવા માટે જણાવ્યું હતું. કામગીરી પૂર્ણ થઇ ગયા બાદ મુખ્ય શિક્ષિકા કમ્પ્લીશન સર્ટિફિકેટ પર સહી કરવા માટે તૈયાર ન હતા. આજે જયારે તેમને મુલાકાત માટે બોલાવ્યા હતા. તેમની સાથે વાતચીત ચાલુ હતી, ત્યારે તેઓ ખરાબ વર્તન કરવા લાગ્યા અને રેકોર્ડીંગ શરૂ કરી દીધું હતું. ત્યાં હાજર ડીપીઈઓએ પણ તેમને સમજાવાના પ્રયાસો કર્યો હતા. પણ તે માન્યા ન હતા અને તેમના પતિને બોલાવીને ખરાબ વર્તન કર્યું હતું. જેથી સ્ટાફના લોકોએ પોલીસને બોલાવી હતી. ડીડીઓએ વધુમાં ઉમર્યું હતું કે નવી બિલ્ડીંગને કાર્યરત કરવા ભુજના ધારાસભ્ય દ્વારા પણ સુચન કરવામાં આવ્યું હતું. હાલ શાળામાં બે પારી સ્કુલ ચાલી રહી છે. ઘટના મુદે ગામનું આંતરિક રાજકારણ જવાબદારઆ સમગ્ર ઘટના મુદે મિરજાપર ગામનું આંતરિક રાજકારણ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. એક પક્ષ શાળાની નવી બિલ્ડીંગ શરૂ કરવા માટે પ્રયાસો કરી રહ્યો છે, જયારે એક પક્ષ શાળાની ગુણવતા સામે સવાલો ઉઠાવીને નવી શાળા શરૂ ન કરાય તેવા પ્રયાસો કરી રહ્યું હોવાની માહિતી સુત્રો પાસેથી મળી રહી છે.
લોકોમાં રોષ ફેલાયો:વોશરૂમમાં હાથ ધોવાના નળને પણ તાળા
સુરેન્દ્રનગર શહેરના એસટી ડેપોમાં રાત્રિના સમયે શૌચાલયોમાં તાળા મારી દેવામાં આવે છે. જેના કારણે અહીં મુસાફરી માટે આવતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બંધ શૌચાલયો શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી. આથી શૌચાલયો ખૂલ્લા મુકાતા રાહત થઇ હતી. પરંતુ હવે શૌચાલયના વોશરૂમમાં પણ હાથ ધોવાના નળને તાળા લાગી જતા મુસાફરોમાં રોષ ફેલાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાનો સૌથી મોટા એસટી ડેપો સુરેન્દ્રનગર શહેરમાં આવેલો છે. આ ડેપોમાં એસટી બસો દોડાવવાની સાથે તેનું સંચાલન રાજકોટ એસટી વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. જેના કારણે આ ડેપોમાંથી દૈનિક 14000થી વધુ મુસાફરો આવ-જા કરી રહ્યા છે. કરોડોના ખર્ચે બનેલા આધુનિક બસ સ્ટેશનમાં વારંવાર અસુવિધાઓની ફરિયાદો ઉઠી છે. ત્યારે આ બસ સ્ટેશનમાં બનાવવામાં આવેલા શૌચાલયને તાળા મારી દેવાતા મુસાફરો પરેશાન બન્યા હતા. અને રાત્રિના સમયે શૌચાલયને તાળા મારી દેવાતા શૌચક્રિયા માટે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હતો. આથી આ બંધ શૌચાલય શરૂ કરવામાં આવે તો મુસાફરોમાં રાહત થાય તેવી માંગ ઉઠી હતી. પરિણામે શૌચાલય ખૂલ્લા થતા લોકોમાં રાહત ફેલાઇ હતી. જ્યારે આ અંગે એસટી સૂત્રોએ જણાવ્યું કે, બસ સ્ટેશનમાં એક અને બીજી બાજુ એમ બે સ્થળોએ શૌચાલયોની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ એક બાજુના શૌચાલયોમાં કોઇ તત્વો દ્વારા તોડફોડ કરી વારંવાર નુકસાન કરી શૌચાલયની ટાઇલ્સો, નળ સહિતને તોડી નંખાય છે. આથી રાત્રે બંધ રાખવામાં આવે છે. બીજી તરફ નવા બસ સ્ટેશનના કારણે સુવિધાઓ મળશે તેવી પણ મુસાફરોને આશા હતી. પરંતુ આ બસ સ્ટેશનમાં અસુવિધાઓના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલા શૌચાલયને તાળા મરાતા મુસાફરોમાં અકળાયા હતા. ત્યારબાદ હવે શૌચાલયો ખૂલ્લા થયા પણ તેની અંદર હાથ ધોવા માટેના નળ ઉપર જ તાળા લાગતા લોકોમાં રોષ ફેલાયો છે. હાથ ધોવા માટે હવે ખર્ચીને પાણીની બોટલ ખરીદવી પડે છેસુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે. જેમાં વોશરૂમમાં હાથ ધોવા માટેના નળને તાળા મારવામાં આવતા લોકોને તકલીફોનો સામનો કરવો પડે છે. હાથ ધોવા માટે પૈસા ખર્ચીને પાણીની બોટલો ખરીદવી પડતી હોવાની રાવ ઉઠી હતી. { સુનિલ જી. રાઠોડ
પ્રજાસત્તાક દિવસ:વિકસિત ભારત @2047ના સંકલ્પ સાથે ગુજરાતદેશનું ગ્રોથ એન્જિન બનવા સજ્જ: મંત્રી
સુરેન્દ્રનગર જિલ્લાના જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ અને પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વ ઉજવાયું હતું. દેશની આન, બાન અને શાન એવા રાષ્ટ્રધ્વજને ફરકાવીને, સલામી આપી રાષ્ટ્રગાન બાદ પરેડનું નિરિક્ષણ કર્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકસિત ભારત-2047ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત ગ્રોથ એન્જિન તરીકે અગ્રેસર છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ પ્રથમ વર્ષમાં જ રૂ.419 કરોડના વિકાસકામો મંજૂર કરાયા છે. જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓનાં પરિવારજનોનું સુતરની આંટી અને શાલથી સન્માન કર્યું હતું. વઢવાણ તાલુકાનાં અવિરત વિકાસ કામો માટે મંત્રી દ્વારા રૂપિયા 36 લાખનો ચેક અર્પણ કર્યો હતો. પરેડમાં પરેડ કમાન્ડર અને એએસપી કર્ણકુમાર પન્નાની આગેવાની હેઠળ કુલ 7 પ્લાટુનોએ પરેડ કરી હતી અને તેમની સલામી ઝીલી હતી. કાર્યક્રમમાં દેશભક્તિ ગીત, કચ્છી લોક નૃત્ય, તલવાર રાસ, પિરામીડ જેવી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાઈ હતી. વિવિધ વિભાગો દ્વારા ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. જેમાં વિજેતા થયેલા ટેબ્લોને પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પી.કે.પરમાર, પ્રકાશભાઈ વરમોરા, શામજીભાઈ ચૌહાણ, સહિતનાં પદાધિકારીઓ, પદ્મશ્રી લવજીભાઈ પરમાર, જગદીશ ત્રિવેદી, જિલ્લા કલેક્ટર કે.એસ.યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેક્ટર રાજેન્દ્ર ઓઝા, વઢવાણ પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
નોટિસ:એક વર્ષમાં જિલ્લામાં પ્રદૂષણઓકતા 70 એકમોને નોટિસ
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. 2025ના એક વર્ષના સમયગાળામાં નિયમોનું ઉલ્લંઘન કરતા અંદાજે 70 જેટલા એકમોને નોટિસ ફટકારાઈ હતી. જિલ્લામાં હવા પ્રદૂષણ ફેલાવતા એકમો, ખાનગી હોસ્પટલો સામે અવારનવાર કાર્યવાહી કરવામાં આવે છે. તેમાંય નિયમોનો ભંગ કરતા એકમોને શોકોઝ, નોટિસ ઓફ ડાયરેકશન તેમજ ક્લોઝર ડાયરેકશન નોટિસ પણ આપવામાં આવે છે. જેના પગલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી સુરેન્દ્રનગર દ્વારા ચેકિંગ હાથ ધરાયુ હતું. જિલ્લામાં 2025ના જાન્યુઆરીથી લઇને ડિસેમ્બર સુધી એટલે કે છેલ્લા એક વર્ષમાં 70 એકમને નોટિસ ફટકારી હતી. જેમાં શોકોઝ-12, કારણદર્શક -51 અને એકમો બંધ કરવાની 7 નોટિસ સહિત કુલ 17 એકમને નોટિસ ફટકારી હતી. જો આ એકમો નિયમોનું પાલન નહીં કરે તો તેમની સામે એકમનું વીજ જોડાણ અને પાણીનું કનેક્શન કાપી નાખવું. એકમને ક્લોઝર નોટિસ આપી કાયમી ધોરણે બંધ કરાવવું વગેરે કાર્યવાહી થઈ શકે છે. પાણી, હવા સહિતની ક્ષતિઓ ધ્યાને આવીતંત્ર દ્વારા અવારનવાર ચેકિંગ કરીને નોટિસ આપવામાં આવી રહી છે. ત્યારે વર્ષમાં 70 જેટલા એકમોને નોટિસ આપી હતી. જેમાં પાણીના, હવાના સહિતની પર્યાવરણલક્ષી ક્ષત્રિઓ ધ્યાને આવી હોવાનું તંત્રે જણાવ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લામાં નસબંધીના આંકડા જોતા સ્પષ્ટ જણાય છે કે કુટુંબ નિયોજનની જવાબદારી હજુ પણ મોટાભાગે સ્ત્રીઓ પર જ છે. જિલ્લામાં પુરૂષોમાં નસબંધીની સંખ્યા સામે સ્ત્રીઓની સરખામણીએ ખૂબ જ ઓછો જોવા મળી રહી છે. કારણ કે છેલ્લા 3 વર્ષમાં 170 પુરૂષોએ અને 21,030 સ્ત્રીઓએ નસબંધી કરાવી હોવાની વિગતો બહાર આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં સરકાર યોજના અંતર્ગત મહિલાઓને નસબંધી ઓપરેશન માટે રૂ.1,000 અને પુરૂષોને રૂ.2,000ની સહાય પૂરી પાડવામાં આવે છે. જિલ્લામાં પુરૂષોમાં તેનું પ્રમાણ ઓછુ દેખાઇ રહ્યુ છે. કારણ કે 2023-24માં 71, 2024-25માં 85, 2025-26માં 14 સાથે કુલ 3 વર્ષમાં 170 પુરૂષોએ નસબંધી કરાવી હતી. જેની સામે 2023-24માં 8,644, 2024-25માં 8,232, અને 2025-26માં 4,154 સહિત કુલ 21,030 સ્ત્રીઓ નસબંધી કરાવી હતી. સ્ત્રી નસબંધીની સંખ્યા પુરૂષો કરતા અનેકગણી વધારે છે. પુરૂષ નસબંધી (NSV) એ સ્ત્રી નસબંધી કરતા વધુ સરળ અને ઓછી જોખમી પ્રક્રિયા હોવા છતાં પુરૂષોમાં તેનો સ્વીકાર ઘણો ઓછો છે. છેલ્લા ત્રણ વર્ષના વલણને જોતા નસબંધી કરાવનારા લોકોની કુલ સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો હોય તેવું જણાય છે. આના પાછળ અન્ય ગર્ભનિરોધક સાધનો જેમ કે કોપર-ટી, ગોળીઓ કે ઈન્જેક્શનનો વધતો વપરાશ પણ એક કારણ હોઈ શકે છે. સ્ત્રીઓ પર પરિવાર નિયોજનની જવાબદારી પરંપરાગત રીતે પરિવાર નિયોજન સ્ત્રીની જવાબદારી માનવામાં આવે છે. ગર્ભધારણ, પ્રસૂતિ અને બાળકોની સંભાળ સ્ત્રી કરે છે, તેથી ઓપરેશન પણ સ્ત્રી જ કરાવે એવી માનસિકતા વિકસેલી છે. આ કારણે ટ્યુબેક્ટૉમી વધુ સ્વીકાર્ય બની ગઈ છે. જ્યારે બીજી તરફ પુરૂષને પરિવારનો મુખ્ય કમાવનાર માનવામાં આવે છે. એવી માન્યતા છે કે નસબંધી કરાવવાથી પુરૂષની તાકાત, કામ કરવાની ક્ષમતા અથવા પુરૂષત્વ પર અસર પડે છે. આમ વગેરે કારણોથી પુરૂષો નસબંધી માટે તૈયાર થતા નથી.
બેંક કર્મચારી યુનિયન દ્વારા 27 તારીખના રોજ ચાર શનિવારની રજા અને સપ્તાહમાં પાંચ દિવસ કામગીરી કરવાના લાગુ કરવાની માંગ સાથે રાષ્ટ્રવ્યાપી હડતાળ જાહેર કરી હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના 3000થી વધુ સરકારી બેંકોના કર્મચારી જોડાતા 125 કરોડથી વધુના વ્યવહારોને અસર થઇ હતી. સુરેન્દ્રનગરના વિવિધ બેંક યુનિયન જોડાતા મંગળવારે જિલ્લાની નેશનલાઇઝ 120થી બ્રાન્ચોના 300થી વધુ બેંક અધિકારી, ક્લીયરીકલ સહિત અન્ય કર્મચારીઓએ પોતાની માંગો સાથે હડતાલ પર ઉતરી જતા બેંકો બંધ રહી હતી. બેંકીંગ ક્ષેત્રમાં 5 દિવસીય કાર્ય સપ્તાહ અમલમાં મુકવા સરકારની મંજુરી આપવી તથા હાલ જે રીતે બીજો અને ચોથો શનિવાર રજા છે તે સિવાયના તમામ શનિવારો રજા જાહેર કરવી આ માંગ ઇન્ડીયન બેંક એસોસીએશન દ્વારા 7-12-2023ના રોજ યુએફબીયુ સાથે થયેલ સમજુતી પત્ર તથા 8-3-2024ના સેટલમેન્ટ સંયુક્ત મુજબ સરકારને ભલામણ કરાઇ છે. એટીએમ રિફીલ ન થતાં એપ ઉપર લોકો નિર્ભર રહ્યાં રવિવાર અનેે પ્રજાસત્તાક પર્વને લઇ રજા હતી. મંગળવારે પણ બેંકીગ વ્યવહારો બંધ રહેતા લોકોએ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન, એપ્લીકેશન બેઝ બેંકીગ વ્યવાહાર અને નાણા મુકવા અને પૈસા ઉપાડવા માટે કેશ ડિપોઝિટ મશીનનો સહારાે લેવો પડ્યો હતો. હડતાળને લીધે મંગળવારે એટીએમ રીફીંલીંગના કામને પણ અસર પડી હતી. ખાનગી બેંકમાં ખાતુ ખોલાવવું પડ્યુંઅમારે બેકીંગના કામ અર્થે જવાનુ થયું પરંતુ હડતાળ હોવાની જાણ ન હતી. બેંક બંધ હોવાથી નાણા મુકવા ઉપાડવામાં મુશ્કેલી થઇ આથી નછૂટકે ખાનગીબેંકમાં ખાતુ હતુ તેમાં જઇ વ્યવહારો કરવા પડ્યા. { પાર્થભાઇ વોરા, વેપારી
ફરિયાદ:પ્રેમલગ્નમાં મદદ કર્યાની શંકાએ મોટા દહીસરાના કારખાનેદારનું અપહરણ કરી 6 શખ્સનો હુમલો
માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા પાણીના કારખાનેદાર કિશોરભાઈ દેવદાનભાઈ લોખિલ (ઉ.વ.37)એ માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કમલેશભાઈ વિરડા રહે. સોનગઢ, રમેશભાઈ હમીરભાઈ બરારીયા, વિનોદભાઈ રાણાભાઇ બરારીયા, મુળુભાઈ બીજલભાઇ બરારીયા, હિતેશભાઈ મૂળુભાઈ બરારીયા અને ભવાનભાઈ બીજલભાઇ બરારીયા રહે. બધા મોટા દહીસરા વાળા તથા હિતેશભાઈ બરારીયાના બે સાળાઓની સામે અપહરણની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ હતું કે, સરવડ ગામમાં આવેલ ઉમિયાનગરમાં તેઓનું પાણીનું કારખાનું આવેલું હોય ત્યાં પાણીના કારખાને તેઓ હાજર હતા. ત્યારે તમામ આરોપીઓ સ્કોર્પિયો ગાડી લઈને આવી આ કારખાનેથી કારખાનેદારનું અપહરણ કરીને મોટા દહીસરા ગામે આવેલી વિશાલ રોડવેઝની ઓફિસે લઈ ગયા હતા ત્યાં આરોપીઓએ ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી વિનોદભાઈએ ફરિયાદીને ધોકા વડે જમણા હાથમાં કોણી પાસે માર માર્યો હતો. તેમજ હિતેશભાઈના સાળાએ ફરિયાદીને પાંસળી અને વાંસાના ભાગે માર મારીને ઇજા કરી હતી અને તમામ આરોપીઓએ ફરિયાદીને ઢીકાપાટુનો માર માર્યો હતો. આથી આ બનાવની જાણ થતાં તેના પિતા સહિતના લોકો ત્યાં દોડી જઈને કારખાનેદાર પુત્રને છોડાવી ઇજા પામેલ હાલતમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના કૌટુંબીક ભાઈએ આરોપી હિતેશભાઈ બરારીયાની દીકરી સાથે પ્રેમ લગ્ન કરેલા હોય તે બાબતનો ખાર રાખીને આરોપીઓએ તેનું અપહરણ કરી માર માર્યો હતો.
મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ હનુમાનજી એપાર્ટમેન્ટમાં રહેતા ભગવાનજી મનજીભાઈ વિડજાએ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને રજુઆત કરી હતી કે, મારા યુવાન પુત્ર વિપુલ ભગવાનજી વિડજાએ ગત તા.14.12. 2025ના રોજ આપઘાત કરી લીધો હતો. આપઘાત પૂર્વ મારા પુત્રએ લખેલી સ્યુસાઇડ નોટમાં મારા પુત્રએ એસપીને સોબીધીને ત્રણ આરોપીઓ આશિષ રમેશભાઈ પાડલીયા, હિતેશભાઈ વાસુદેવ દસડીયા, કમલેશ ઉર્ફે મહેશ મનુભાઈ માંડવીયાના ત્રાસથી આપઘાત કર્યો હોવાનું સ્પષ્ટપણે જણાવ્યું હતું. સ્યુસાઇડ નોટના આધારે મારા પુત્રના બનેવી એટલે મારા જમાઈએ જે તે સમયે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમના મિત્ર એવા આશિષ પાડલીયાએ મને કહ્યું હતું કે, મારે સોલારનો ધંધો કરવો હોય એના માટે તું રૂપિયા આપ, ત્યારે ફરિયાદી એવા મારા જમાઈએ મિત્રના નાતે ભરોસો મૂકી હાથ ઉછીના પહેલા 7.50 લાખ અને બાદમાં 31.50 લાખ અને બાદમાં ફરી આશિષએ હું તમને મારા ધંધામાં ભાગીદાર બનવાનું કહી હજુ મને થોડા પૈસા આપવાનું કહેતા જમાઈએ કટકે કટકે ઓનલાઈન મળીને કુલ રૂ.1.26 કરોડ આપ્યા હતા. જેને એક વર્ષ જેવો સમય થઈ જવા છતાં પૈસા પરત ન આપતા તેમના જમાઈએ તેના મિત્ર આશિષ પાસેથી અવારનવાર પૈસા માંગ્યા હતા. પણ તે જુદાજુદા બહાના કાઢી ઉઠા ભણાવીને પૈસા આપતો ન હતો. તેથી ફરિયાદીએ તેમના સાળા એટલે મારા પુત્ર વિપુલને કહ્યું હતું કે, તેઓએ આશિષને 1.26 કરોડ અને કમલેશ ઉર્ફે મહેશ મનુભાઈ માંડવીયાને પણ છ લાખ આપ્યા હોય પણ આ બન્ને રૂપિયા પરત આપતા નથી. આથી વિપુલે એ બન્ને પાસે રૂપિયાની ઉઘરાણી કરતા આશીષએ મેં તારી પાસે પૈસા લીધા ન હોય તું ક્યાંય વચ્ચે આવતો નહિ. આથી સાળા બનેવીએ ફરી આરોપીઓ પાસે તેમના હક્કના પૈસા માંગતા તેણે હવે તમારા પૈસા ભૂલી જજો, નહિતર તમારે જીવ ગુમાવવો પડશે અને વ્યાજના ખોટા કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપીને એટલી હદે ત્રાસ આપ્યો કે મારા પુત્રને રિબાઈ રિબાઈને પોતાની જાતને ખતમ કરવી પડી હતી. એ આપઘાત કરતા પહેલા મારા પુત્રની માનસિક હાલત કેવી દર્દનાક હશે ? પુત્રએ આપઘાત કર્યા બાદ મારી તથા મારા પરિવારની કેવી મનોદશા થઈ એ પરિસ્થિતિ તો જેના પર વીતી હોય એ જ જાણે. નિર્દોષનું જીવતર ઝેર કરી નાખતા હોય મારા પુત્રની જેમ બીજા કોઈ પણ આવા પગલાં ન ભરે એ માટે આ ત્રણેય આરોપીઓ સામે કડકમાં કડક એટલે દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ કરી છે.
વેપારીઓમાં રોષ:6 મહિનાથી કામ ચાલુ છતાં રોડની બન્ને સાઈડ દોઢ ફૂટના ખાડા, રાત્રીના સમયે અકસ્માતનો ભય
મહાનગર પાલિકા દ્વારા શહેરના આસ્વાદ પાનથી જડેશ્વર મંદિરને જોડતા રોડ પર ડ્રેનેજ અને આરસીસી રોડની કામગીરી હાથ ધરવામાં આવી હતી જોકે આ કામગીરી માટે લગભગ 4 મહિનાથી રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો અને બુધવારથી આ રોડ વાહન ચાલકો માટે શરુ કરવા તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે જોકે આ રોડ શરુ થાય તે પહેલા સ્થાનિક વેપારીઓનો વિરોધ જોવા મળ્યો છે વેપારીઓએ દાવો કર્યો હતો કે મનપા દ્વારા જે રોડ નિર્માણ કરવામાં આવ્યું છે તેમાં મોટા પાયે ત્રુટી છે રોડની ઉચાઇ દુકાનના લેવલ કરતા ખુબ ઉચી છે તેમજ આરસીસી રોડની બન્ને સાઈડ ફૂટ પાથ પર માટી કે પેવર બ્લોકની કામગીરી કરવામાં આવી નથી અને બન્ને સસાઈડ એકથી દોઢ ફૂટ સુધીના ખાડા છે આ ઉપરાંત જડેશ્વર મંદિર પાસે જ્યાં રોડ શરૂ થઇ રહ્યો છે ત્યાં પણ પુરતી કામગીરી કરવામાં આવી ત્યાં હજુ પણ ખાડાઓ છે બન્ને તરફ જે રીતે મનપાના ઈજનેરો અને કોન્ટ્રાકટર દ્વારા 4 મહિનાથી આ વિસ્તારને બાનમાં લીધા બાદ પણ કામગીરી ના નામે લોલમલોલ ચલાવ્યુ છે તે લોકોની સુવિધા કરતા હાલાકી વધુ થાય તેવી શક્યતા છે રોડની બન્ને સાઈડ હાલ ખુલ્લી ગટર છે જે બંધ નથી થઇ કે દુકાન અને ઘરમાંથી આવતા કનેક્શન પણ ગટર લાઈનમાં લગાવ્યા નથી જેના કારણે દુકાન બહાર દુર્ગંધ મારતા પાણી ભરાયેલ રહે છે આવી સ્થિતિમાં ધંધો કેમ કરવો તે મોટો સવાલ છે અને બન્ને તરફ ખાડાના કારણે ત્યાંથી પસાર થનારા વાહન ચાલકો રોડની સાઈડમાં કોઈ કારણસર ઉતરી જાય તો જીવલેણ અકસ્માત પણ સર્જાઈ શકે છે જેથી કોઈ ગંભીર દુર્ઘટના બને તે પહેલા રોડની બંને સાઈડ યોગ્ય બુરાણ કર્યા બાદ રોડનું કામ શરુ કરવામાં આવે તેવી માંગણી કરી છે. જડેશ્વરાને જોડતા રોડનું જોઈન્ટ હોવાથી એટલો ભાગ બાકી રાખ્યોવેપારીઓની જે રજૂઆત જડેશ્વર પાસેનો ભાગ ખાલી રાખવાનો છે તે સુપર સિનેમાથી જડેશ્વર જોડતા બીજા રોડ નું જોઈન્ટ છે અને જયારે તે રોડ બનશે ત્યારે લેવલ જળવાઈ રહે તે માટે કામ બાકી છે. રોડ ઉંચો થતા શેરીમાં ગંદકી અને ગટરનું પાણી ભરાવાનો આક્ષેપરોડ પરથી વાહન ઉતારવા ઢાળ પણ આપવામાં આવ્યા નથી જડેશ્વર પાસે પણ થોડો ટૂકડો અધૂરો મુકી દેવાયો હતો જેની રજૂઆત કરી ત્યારે અમને આજથી આ ટુકડો પુરવાની કામગીરી કરવામાં શરુ કરાઈ નથી તેમ સ્થાનિક વ્યક્તિ નવીનભાઈએ જણાવ્યું હતું.
સારવાર:દોરીથી ગળું કપાતાં યુવાનની ટ્રેકિયોસ્ટોમી, 12 દિવસની સારવાર બાદ સ્વસ્થ થયો
ગાંધીનગર સીવીલમાં 12 દિવસ પહેલા દોરી વાગવાના બનાવના કારણે જટીલ સર્જરી કરવામા આવી હતી,જેમાં 23 વર્ષના યુવકના ગળામાં પતંગની દોરી વાગતાં તેનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો.16 જાન્યુઆરી 2026ના રોજ યુવક બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે અચાનક પતંગની દોરી ગળામાં ફસાઈ ગઈ હતી અને ગળામાં અંદાજે 13થી 14 સેન્ટીમીટર જેટલો ઊંડો ઘા પડી ગયો હતો,ગળાની શ્વાસનળી ખુલી થઈ ગઈ હતી અને મુખ્ય રક્તવાહિનીઓમાંથી ભારે લોહી નીકળતુ હોવાથી યુવકની હાલત અત્યંત ગંભીર બની ગઈ હતી. યુવકને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.હોસ્પિટલમાં પહોંચતા જ ડોક્ટરોની ટીમે તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. યુવકને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી પહેલા ટ્રેકિયોસ્ટોમી કરવામાં આવી હતી જેથી શ્વાસ ચાલુ રાખી શકાય. ત્યારબાદ ઈ.એન.ટી. વિભાગના ઓપરેશન થિયેટરમાં યુવકની જટિલ સર્જરી હાથ ધરવામાં આવી હતી,લગભગ ત્રણ કલાક સુધી ચાલેલી આ સર્જરી દરમ્યાન ગળાની તમામ મહત્વની રક્તવાહિનીઓને સુરક્ષિત રાખીને ટ્રેકિયાનું ચાર સ્તરમાં રિપેરિંગ કરવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન વધુ રક્તસ્ત્રાવ થવાને કારણે યુવકને બે યુનિટ લોહી પણ ચઢાવવામાં આવ્યું હતું. ડોક્ટરોની સાવધાની અને મહેનતના કારણે શ્વાસનળી અને અન્નનળી જેવા અતિ મહત્વના અવયવોને બચાવી શકાયા હતા.ઓપરેશન પછી યુવકને આઈ.સી.યુ.માં સતત દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી હતી. દિવસો જતા ધીમે ધીમે તેની હાલતમાં સુધારો થતો ગયો. 11 દિવસની સારવાર બાદ ટ્રેકિયાનું રીકન્સ્ટ્રક્શન સંપૂર્ણ રીતે સાજું થઈ ગયું હતુ અને તમામ ટાંકા કાઢી નાખવામાં આવ્યા હતા. હાલ યુવક મોઢા દ્વારા ખોરાક લઈ રહ્યો છે.
ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં વિદ્યાર્થીઓની પ્રતિભા ઓળખવા માટે પ્રખરતા શોધ કસોટીનું આયોજન કરવામાં આવે છે. આ કસોટીનો મુખ્ય હેતુ તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શોધી તેમને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવાનો છે. પ્રખર શોધ કસોટી થી વિદ્યાર્થીઓની શૈક્ષણિક ક્ષમતા, તર્ક શક્તિ અને સમજણનું મૂલ્યાંકન કરવામાં આવે છે. પસંદગી પામેલા વિદ્યાર્થીઓને સરકાર તરફથી દર વર્ષે રૂપિયા 12 હજાર ધોરણ 9 થી 12 સુધીના અભ્યાસ દરમિયાન આપવામાં આવશે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં આજે બુધવારે ધોરણ 9 માં અભ્યાસ કરતાં 2,567 છાત્રો પ્રખરતા શોધ પરીક્ષા આપશે. જેનું આયોજન ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયા તાલુકાના કુલ 10 પરીક્ષા કેન્દ્રો પર 86 બ્લોકમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્ર પર 10 કેન્દ્ર સંચાલક,પરીક્ષા કારકુન 10 ખંડ નિરીક્ષક 86, સુપરવાઇઝર 10 અને 19 જેટલા કર્મચારીઓ સેવક તરીકેની કામગીરી કરશે. પરીક્ષાનો સમય પ્રસ્નપત્ર 1 માટે સવારે 11 થી 1 અને પ્રશ્નપત્ર 2 માટે બપોરે 2 થી 4 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને આનો લાભ મળશે. પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તેમજ વ્યવસ્થા અને કાયદો જળવાય રહે તે માટે પરીક્ષા કેન્દ્રની 100 મીટરમાં ઝેરોક્ષ સેન્ટર બંધ રાખવા માટે કલેક્ટરે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેનું ચુસ્ત પણે અમલવારી કરવામાં આવશે.
ધારીના ખીસરીમાં દેવીપૂજક પરિવારમાં લગ્ન પ્રસંગના જમણવારમાં રોટલી પીરસવાના મુદ્દે બોલાચાલી થતા જાનૈયા અને માંડવીયા પરિવારો એક બીજા પર હાથ પડ્યું હથિયાર લઈ તુટી પડ્યા હતા. પથ્થરમારો પણ થયો હતો. આ ઘટનામાં 15 વ્યક્તિને ઈજા પહોંચી હતી. બે વ્યક્તિ પર બોલેરો ગાડી ચડાવી દેવાતા ગંભીર ઈજા થઈ હતી. ઘટનાને પગલે માત્ર બે ફેરા ફર્યા બાદ લગ્ન અટકાવી દેવાયા હતા અને જાન લીલા તોરણે પાછી ફરી હતી. લગ્ન પ્રસંગમાં મારામારીની આ ઘટના ધારી તાલુકાના ખીસરી ગામે બપોરે બે કલાકે બની હતી. અમરેલીના દેવળીયા ગામના મનિષભાઈ વાઘેલાના પુત્ર મંગળુના લગ્ન ખીસરીના બાબુભાઈ દામાભાઈ ચારોલીયાની પુત્રી સોનલ સાથે નક્કી થયા હોય 26મી તારીખે દેવળીયાથી જાન પરણવા માટે ખીસરી પહોંચી હતી. એક તરફ લગ્નના ફેરા ચાલતા હતા અને બીજી તરફ જમણવાર ચાલતો હતો. ત્યારે દિનેશ વાઘેલા નામનો યુવાન કાઉન્ટર પર રોટલી લેવા ગયો હતો. જ્યા તેણે બે રોટલી માંગતા પીરસનારે માત્ર એક જ રોટલી આપી તેની સાથે માથાકૂટ કરી હતી. જોત જોતામાં આ માથાકુટ મારામારીમાં પરિણમી હતી. બંને પક્ષના લોકો એક બીજા પર લાકડી લઈ તુટી પડ્યા હતા. એક બીજા પર છુટા પથ્થરોના ઘા થવા લાગ્યા હતા. જેના કારણે અનેક લોકો લોહી લુહાણ થઈ ગયા હતા. ઉભી બજારે મારામારી થતા ગામ લોકોએ ઘટનાના વિડીયો પણ ઉતાર્યા હતા. આ દરમિયાન એક શખ્સે પુર ઝડપે બોલેરો ચલાવી બે વ્યક્તિ પર ચડાવી દેતા ગંભીર ઈજા પહોંચી હતી. લાકડીના ઘા મારી બોલેરો સહિત બે કાર અને બે બાઈકમાં તોડફોડ કરાય હતી. 15 લોકો ઘાયલ થઈ જતા તેમને સારવાર માટે ધારી દવાખાને ખસેડાયા હતા. બીજી તરફ વરરાજા માત્ર બે ફેરા ફર્યા હતા. તે સમયે જ બઘડાટી બોલતા લગ્ન અટકાવી દેવાયા હતા અને જાન લીલા તોરણે પાછી ફરી હતી. બનાવ અંગે વર પક્ષના વિનુભાઈ ભગવાનભાઈ વાઘેલાએ યુવતિના કાકા વિપુલ દામા ચારોલીયા સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામા પક્ષે કન્યા પક્ષના બાબુભાઈ દામાભાઈ ચારોલીયાએ દિનેશ વિનુ વાઘેલા સહિત પાંચ સામે ધારી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. લાકડીઓ વડે હુમલો થતા એક બોલેરો અને અન્ય કારના કાચ ફોડવામાં આવ્યા હતા. આ ઉપરાંત બે મોટર સાયકલમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાના ગામ લોકોએ તો મોબાઈલમાં વીડિયો ઉતાર્યા હતા. સાથે સાથે પોલીસના પ્રયાસથી આઠ દિવસ પહેલા જ ગામમાં સીસીટીવી કેમેરા લગાવાયા હતા. તેના ફૂટેજ પણ પોલીસને મળ્યા છે. માત્ર બે ફેરા ફર્યા બાદ લગ્ન વિધી અટકાવી દેવાઈ હતી. જેથી લગ્ન મંડપમાં જ વર અને કન્યા બંને રડી પડ્યા હતા. બાદમાં લગ્ન વિધી આગળ ધપાવાઈ ન હતી. પોલીસે રસ્તામાં આંતરી આરોપી પકડ્યા સરસીયાનો પરેશ ભનુભાઈ માથાસુરીયા પણ લગ્ન પ્રસંગમાં આવ્યો હતો. તેની કારમાં તોડફોડ થયા બાદ તે મોટરસાયકલ પર અલટ્રો ચડાવી ઘટના સ્થળેથી નાસ્યો હતો. જો કે પોલીસે તેને જીરા ગામે રસ્તામાં આંતરી ઝડપી લીધો હતો.
મહિલા શક્તિ:જામનગર જિલ્લાના ઈતિહાસમાં પ્રથમવાર મહિલા અધિકારીની આગેવાનીમાં પુરૂષ પ્લાટુન
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા એપીએમસી મેદાન ખાતે જિલ્લા કક્ષાના 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગૌરવપૂર્ણ માહોલમાં યોજાઈ હતી.જ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા અધિકારીના નેતૃત્વમાં પુરુષ પ્લાટુન દ્વારા શિસ્તબદ્ધ અને પ્રશંસનીય પરેડ રજૂ કરવામાં આવી હતી, જે સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને આયોજિત કાર્યક્રમમાં તેમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રગાન બાદ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિમોહન સૈની સાથે 9 પ્લાટુનની પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.કલેક્ટરે પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવતા સ્વાતંત્ર્યવીરોના બલિદાનને યાદ કરી જિલ્લામાં ચાલતા વિકાસકાર્યોની માહિતી આપી હતી. વડાપ્રધાન દ્વારા છેલ્લા એક વર્ષમાં રૂ.833 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. જેમાં ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલનું નવું બિલ્ડિંગ, ડબ્લ્યુએચઓનું ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન તથા પી.એમ. કુસુમ યોજના હેઠળ સોલાર પ્લાન્ટ્સનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ તાજેતરમાં જિલ્લાને રૂ.622 કરોડથી વધુના વિકાસકાર્યો મંજૂર કર્યા હોવાનું જણાવાયું હતું. કાર્યક્રમ દરમિયાન વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક અને દેશભક્તિ કાર્યક્રમોની રજૂઆત કરી હતી.
વાતાવરણ:લઘુત્તમ તાપમાનમાં 1.5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો
જામનગરમાં છેલ્લા 24 કલાક લઘુત્તમ તાપમાનમાં 1.5 ડિગ્રીનો ઘટાડો નોંધાતા ઠંડીનો પારો મંગળવારે 10.5 ડિગ્રીએ સ્થિર થયો હતો. ઉલ્લેખનીય છે કે પવનનું જોર આંશિક ઘટતા લોકોને ઠંડી માંથી આંશિક રાહત મળી હતી પરંતુ મહતમ તાપમાન 2.1 ઉપર આવતા બપોર દરમ્યાન શહેરીજનો ઠંડી માંથી આંશિક રાહત મળી હતી પરંતુ મોડી રાત્રે એને વહેલી સવારે હાડધ્રુજાવતી ઠંડી નો અનુભવ કર્યો હતો. લદ્દાખ, જમ્મુ-કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં બરફવર્ષાએ રફ્તાર પકડી લીધી છે. જેની સીધી અસર ગુજરાતમાં સહિત હાલારમાં વર્તાઈ રહી છે. જામનગર શહેરમાં ઠંડીના પ્રમાણમાં સતત વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં લઘુતમ તાપમાનમાં 2.5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે જેને પગલે મંગળવારે શહેરનું તાપમાન 10.5 ડિગ્રી થયું હતું જ્યારે મહત્તમ તાપમાનમાં પણ આંશિક વધારો નોંધાયો હતો વાતાવરણમાં ભેજનું પ્રમાણ 65 ટકા રહ્યું હતું. વહેલી સવારે શહેરમાં ધુમ્મસનું આવરણ જોવા મળ્યું હતું. વહેલી સવારે વાહન ચાલકોને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો હતો તો બીજી તરફ વિઝન ક્લિયર થાય તે માટે વાહન ચાલકોને લાઈટ શરૂ કરવાની ફરજ પડી હતી.
તપાસ:મહાનગરપાલિકા સંચાલિત ઢોરના ડબ્બામાંથી ગાય ગુમ
ઢોર ડબ્બામાં ગેરવહીવટ અને ગોબાચારી ચાલતી હોવાની વિગતો સમયાંતરે બહાર આવે છે ત્યારે એક પકડાયેલી ગાય ગુમ થઈ જતા દેકારો બોલી ગયો છે. નવાગામ ઘેડમાં રહેતા નાવિક ચાવડા નામના યુવકની ત્રણ ગાયો મનપા તંત્ર પકડી ગયા હતા. તેથી તેઓ ગાયને જ્યાં રાખી હતી.તે રણજીતસાગર ડેમ નજીકના ડબ્બા ખાતે ગયો હતો. જ્યાં તે ગાય દીઠ દંડની રકમ આપવા માંગતો હતો. પરંતુ પકડાયેલી 3માંથી બે જ ગયો જોવા મળતાં તેણે કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયાને જાણ કરી હતી. તેમજ તેઓને પણ વાસ્તવિક્તા દેખાડવા બોલાવ્યા હતા. જ્યાં માલધારી યુવક અને તેની સાથેના તમામે તપાસ કરતાં ત્રીજી ગાય મળી આવી ન હતી.તેથી તેઓએ સ્ટાફને સવાલ કર્યો હતો કે, ઉંચી વંડીવાળી જગ્યા છે અને બે દરવાજે તાળા છે. તો ગાય ગઈ ક્યાં, પરંતુ આ પશ્નનો જવાબ સ્ટાફ આપી શક્યો ન હતો. તેથી યુવકો અને મહીલા કોર્પોરેટરએ સીસી કેમેરાના ફુટેજ માંગતા સ્ટાફે 10 દિવસથી કેમેરા બંધ હોવાનું જાણવા મળતાં તે સ્થળ નો વિડીયો બનાવ્યો હતો. જેમાં પશુપાલક યુવાનોએ આક્ષેપ કર્યો હતો કે, ઢોરના ડબ્બા સુધી પશુઓ પહોંચે ત્યાર પહેલા પશુ પકડ પાર્ટીવાળા વહિવટ કરીને ગાયોને અધવચ્ચે છોડી મુકે છે. ઉપરાંત ઢોરના ડબ્બે આવેલી ગાયોમાંથી અમુકને પાછલે બારણેથી જવા દેવામાં આવે છે. આ ગાય ક્યાં જાય છે ? કે કોણ લઈ જાય છે ? તે તપાસનો વિષય છે. આ મામલે આવેદન આપવામાં આવશે. તેમ કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ જણાવ્યું છે.
દુર્ઘટના:જોડિયા પાસે રોડ ક્રોસ કરતા ખેત મજૂર યુવાનને કારની ટક્કર, મૃત્યુ
જોડિયા નજીક નેશનલ હાઇવે પર ઓવરબ્રિજ પાસે રસ્તો ઓળંગતા યુવાનનું કાર હડફેટે ગંભીર ઈજાથી મૃત્યુ નિપજ્યાનો બનાવ બહાર આવ્યો છે. જોડિયા તાલુકાના લખતર ગામે રહી ખેત મજૂરી કરતો મૂળ દાહોદ જિલ્લાનો વતની સંજયભાઈ અમરસિંહભાઈ ભુરીયા નામનો 18 વર્ષીય આદિવાસી યુવાન ભાગમાં રાખેલી વાડીએથી કુદરતી હાજતે જતો હતો. ગત તા. 24 ના રોજ યુવાન નેશનલ હાઈવે પર ઓવરબ્રિજ પાસે રોડ ઓળંગી રહ્યો હતો. ત્યારે અકસ્માતનો ભોગ બન્યો હતો. ધ્રોલ તરફથી આવતી બેકાબૂ અર્ટિગા કારે યુવાનને ઠોકરે લેતા અકસ્માત સર્જાયો હતો. કારની હડફેટે યુવાન રોડ પર ઢળી પડ્યા બાદ તેને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો. સારવાર કારગત ન નિવડતા તેનું મોત નિપજ્યું હતું. મૃતક યુવાનના પિતાએ અમરસિંહભાઇ કાળુભાઇ ભુરીયા (ઉવ.54 રહે.હાલ અમરશીભાઇ હરખાભાઇ દલસાણીયાની વાડીમા, લખતર ગામ મૂળ જી.દાહોદ) એ અર્ટીગા ફોરવ્હીલ ગાડીના રજી.નં. જી.જે.32.કે.4488 ના કાર ચાલક સામે જોડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. માર્ગ અકસ્માતના બનાવમાં શ્રમિક યુવાને જીવ ગૂમાવતા પરિવાર પર વજ્રઘાત થયો છે. જ્યારે આજુબાજુના પંથકમાં ભારે અરેરાટી પ્રસરી જવા પામી છે.
જૂનાગઢના પ્રખ્યાત ઢોલકવાદક હાજી મીર કાસમને 26મી જાન્યુઆરીએ કેન્દ્ર સરકારે 80 વર્ષીય હાજીભાઈને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પૈકીના એક એવા 'પદ્મશ્રી' એવોર્ડથી નવાજવાની જાહેરાત કરી અને આ ખુશીના માહોલ વચ્ચે 27 જાન્યુઆરીએ તેમના જન્મદિવસે જ એક ચોંકાવનારો વળાંક આવ્યો. પદ્મશ્રીની જાહેરાતના 2 દિવસ પહેલા એટલે કે 24 જાન્યુઆરીએ સ્થાનિક ભાજપના નગરસેવક સંજય મણવર દ્વારા 'ફોર્મ-7' રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં હાજીભાઈ, તેમના પત્ની અને પુત્રનું નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે અરજી કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે, જે દિવસે કલાકાર પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા હતા, તે જ દિવસે તંત્ર દ્વારા તેમને નામ કમી કરવા અંગેની નોટિસ ફટકારવામાં આવી હતી. એક બાજુ દેશ સ્તરે કલાકારની સાધનાને બિરદાવવામાં આવી રહી છે, ત્યારે બીજી બાજુ સ્થાનિક સ્તરે તેમને 'બિનનિવાસી' ગણાવી નામ કાઢવાની પ્રક્રિયા હાથ ધરાતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. જ્યારે કોઈ વ્યક્તિને પદ્મશ્રી જેવો એવોર્ડ મળે ત્યારે આખું શહેર ગર્વ કરતું હોય છે, ત્યારે નગરસેવક દ્વારા કરાયેલી આ અરજી અને તંત્રની ત્વરિત નોટિસે વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. ઢોલક વાદક હાજી કાસમ મીરના નામ કમી માટે થયેલી વાંધા અરજી પાછળનું કારણ શું છે ? એ જાણવા ભાસ્કર ટીમે તપાસ આરંભી હતી. જેમાં ખુલ્યુ હતુ કે, એમના આધાર કાર્ડમાં અટક મીર અને ચૂંટણી કાર્ડમાં રાઠોડ અટક લખાઇ હોવાથી કાર્યવાહી થઇ હતી. આધારકાર્ડમાં અટક મીર' હોવાથી ચકાસણી જરૂરી, અપમાન માટે નહી, ખોટુ મતદાન ન થાય એ માટે ફોર્મ ભર્યુ : નગરસેવકહાજીભાઈના આધારકાર્ડમાં તેમની અટક મીર' જોવા મળી હતી. જયારે તેમનું નામ રાઠોડ હાજીભાઇ બતાવાઇ રહ્યું છે. આ વિસંગતતાને કારણે મેં ચૂંટણી પંચને રજૂઆત કરી છે. અમારો હેતુ કોઈનું અપમાન કરવાનો નથી, પરંતુ તેમના નામ પર કોઈ અન્ય વ્યક્તિ ખોટું મતદાન ન કરી જાય તેની સત્યતા ચકાસવા માટે જ 'ફોર્મ-7' ભરવામાં આવ્યું હતું. આ માત્ર વહીવટી પ્રક્રિયાનો ભાગ છે. > સંજય મણવર, નગરસેવક, વોર્ડ નં. 8
રજૂઆત:વર્ષોથી સેવા આપતા પ્રાથમિક શિક્ષકો માટેTET ફરજિયાત કરવાની હિલચાલથી વિવાદ
રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં વર્ષોથી ફરજ બજાવતા શિક્ષકો માટે TET પરીક્ષાને લઈને ફરી એકવાર વિવાદનો મધપૂડો છંછેડાયો છે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક પરિપત્રમાં વર્ષ 2011 પહેલા અને પછી નિમણૂક પામેલા શિક્ષકોની ટેટ પરીક્ષા અંગેની માહિતી માંગવામાં આવતા શિક્ષક આલમમાં ભારે ગભરાટ અને રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નિવૃત્તિના આરે ઉભેલા શિક્ષકો પર પરીક્ષાનું જોખમ તોળાતા 'ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ' દ્વારા સરકારમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે કેન્દ્ર સરકારના આદેશ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાના હવાલે તમામ જિલ્લાઓ પાસેથી ડેટા માંગ્યો છે. શિક્ષક મંડળનો દાવો છે કે, એક્ટ-2009 અને NCTEની માર્ગદર્શિકા મુજબ ટેટ માત્ર નવી ભરતી માટેની લાયકાત છે. જે શિક્ષકો વર્ષોથી સેવામાં છે, જેમની પાસે બહોળો અનુભવ છે, તેમના પર હવે નવા નિયમો થોપવા તે 'કુદરતી ન્યાયના સિદ્ધાંત' વિરુદ્ધ છે.
ભાસ્કર ખાસ:બરડા જંગલ સફારીમાં પ્રવાસીઓએ 9 સિંહને નિહાળ્યા
26મી જાન્યુઆરીના રોજ બરડા જંગલ સફારી માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. બરડા સફારી રૂટ પર પ્રવાસીઓએ 9 જેટલા સિંહના દર્શન કરી અભિભૂત બન્યા હતા. પોરબંદર જિલ્લાના બરડા જંગલમાં જીવ સૃષ્ટિ, પર્યાવરણ અને કુદરતી દ્રશ્યો જાણવા અને માણવા બરડા જંગલ સફારી તા. 7/10ના રોજ ખુલ્લી મૂકવામાં આવી હતી. કપૂરડી ચેકપોસ્ટ ખાતેથી જંગલ સફારી માટે સુવિધા ઉપલબ્ધ કરવામા આવી છે. ગત તા 26 જાન્યુઆરીની રજાના દિવસમાં પ્રવાસીઓ બરડા જંગલની સફારી કરવા ઉમટી પડ્યા હતા. બરડા જંગલમાં સિંહ સહિત અન્ય વન્ય પ્રાણીઓ ઉપરાંત વિવિધ પ્રકારના પક્ષીઓના કલરવ, તળાવ, ઝરણાં, મગર, કિંમતી વનસ્પતિઓ, વિવિધ પ્રકારના વૃક્ષો, હરિયાળી, ડુંગર સહિતનું કુદરતી સ્ત્રોતના આહલાદક દ્રશ્યો પ્રવાસીઓ માણી રહ્યા છે ત્યારે 26મી જાન્યુઆરીના દિવસે બરડા જંગલ સફારીના રૂટ પર 9 જેટલા સિંહ જોવા મળ્યા હતા. પ્રવાસીઓએ સિંહ દર્શનનો લહાવો લીધો હતો. સિંહ પરિવાર બરડામાં વિહરતા અને બેઠેલા જોવા મળ્યા હતા. પ્રવાસીઓએ પોતાના મોબાઈલ અને કેમેરામાં સિંહના ફોટા પાડ્યા હતા અને સિંહોને નિહાળી અભિભૂત બન્યા હતા. ઉપરાંત બરડામાં અનેક અન્ય વન્ય પ્રાણીઓ તેમજ પક્ષીઓ અને અવનવા ઔષધિ યુક્ત વૃક્ષો અને હરિયાળી નિહાળી પ્રવાસીઓએ અમેઝિંગ એક્સપિરિયન્સ કર્યો હતો.
વાતાવરણ:પોરબંદરમાં મહતમ 26 અને લઘુતમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું
પોરબંદરમાં ઠંડીનું જોર યથાવત રહ્યું છે. પોરબંદરમાં મહતમ તાપમાન 26 ડિગ્રી અને લઘુતમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું છે જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ છેલ્લા 3 દિવસથી 35 ટકા યથાવત રહ્યું છે. પોરબંદરમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. 2 દિવસની વાત કરીએ તો ગઈકાલે સોમવારે મહતમ તાપમાન 27 ડિગ્રી નોંધાયું હતું અને લઘુતમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતું જ્યારે મંગળવારે મહતમ તાપમાન 1 ડિગ્રી ઘટીને 26 ડિગ્રી નોંધાયું છે જ્યારે લઘુતમ તાપમાન 4 ડિગ્રી ગગડીને 11 ડિગ્રી નોંધાયું છે. તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ છેલ્લા 3 દિવસથી 35 ટકા યથાવત રહ્યું છે. બપોરને બાદ કરતા શહેરમાં સવારથી લઈને રાત સુધી ઠંડીનો અહેસાસ થાય છે. સવારે તેમજ મોડી રાત્રે ઠંડા પવનના સુસવાટા અનુભવાઈ છે. મુખ્ય માર્ગ અને હાઈવે પર કકળતી ઠંડીનો અહેસાસ થાય છે ત્યારે હાઈવે પર રાત્રીના સમયે બાઇક ચાલકોની ચહલપહલ ઓછી જોવા મળે છે. ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે.
ભાસ્કર એક્સક્લુઝિવ:પોરબંદરમાં એક છેડેથી બીજા છેડે જવા માટે નાગરિકોએ રૂા.125 ટોલટેક્સ ચૂકવવો પડે છે
પોરબંદર મહાનગર પાલિકા થતા દિગ્વિજય ગઢ ગામનો પણ મનપામાં સમાવેશ થયો છે, પરંતુ વનાણા ટોલનાકું મનપાની હદ માં જ હોવાથી અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા મનપાની હદમાં જ ટોલનાકું યથાવત રાખવામાં આવતા એક છેડેથી બીજા છેડે જવા માટે નાગરિકોને ટોલ ટેક્સ ચૂકવવો પડે છે. ખાસ તો મનપાની હદ માંજ ટોલ ટેક્સ વસૂલવામાં આવતો હોવાથી સિટી બસ દિગ્વિજયગઢ ગામ સુધી જતી નથી જેને કારણે દિગ્વિજયગઢના 700 સ્થાનિકો 1 વર્ષથી સિટી બસ સુવિધાથી વંચિત બન્યા છે અને દિગ્વિજયગઢ ગામમાં 25 જેટલા વાહનોને શહેરમાં આવવા માટે ટોલ ટેક્સ ચૂકવવો પડે છે. પોરબંદર નગર પાલિકા માંથી તા. 1 જાન્યુઆરી 2025ના રોજ મહાનગર પાલિકા બની છે અને મનપામાં 4 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં વનાણા અને દિગ્વિજય ગઢ ગામનો પણ સમાવેશ થયેલ છે. વનાણા ટોલનાકું પોરબંદર મનપાના હદ વિસ્તારમાં આવ્યું છે. અને મનપાના હદ વિસ્તારમાં નાગરિકોને ટોલ ટેક્સ ચૂકવવાનો હોતો નથી પરંતુ 1 વર્ષ થવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટીએ મનપાની હદ માંથી ટોલનાકું ખસેડ્યુ ન હોવાથી શહેરના એક છેડેથી બીજા છેડે જવા માટે નાગરિકોને ટોલટેક્સ ચૂકવવો પડે છે. મહત્વની વાત એ છેકે દિગ્વિજયગઢ ગામમાં 700ની વસ્તી છે. આ ગામ મનપામાં સમાવેશ થયું છે પરંતુ દિગ્વિજયગઢ ગામના સ્થાનિકોને સિટી બસ સુવિધાનો લાભ હજુસુધી મળ્યો નથી. ટોલટેક્સ વસૂલવામાં આવતો હોવાને કારણે સિટીબસ દિગ્વિજયગઢ ગામ સુધી જતી નથી. અન્ય 3 ગામ સુધી સિટી બસ જાય છે અને તેનો લાભ શહેરીજનો લઈ રહ્યા છે પરંતુ સિટી બસ સેવાથી દિગ્વિજયગઢ ગામના 700 સ્થાનિકો 1 વર્ષથી વંચિત રહ્યા છે. ટોલ ટેક્સ વસૂલવામાં આવતો હોવાથી દિગ્વિજયગઢ ગામે સિટીબસ જતી ન હોવાથી સ્થાનિકોને ફરજિયાત ખાનગી વાહનોમાં ભાડા ચૂકવીને શહેરમાં આવવું પડે છે અને બીજીતરફ દિગ્વિજયગઢ ગામે કાર, ડમ્ફર સહિત 25 જેટલા વાહનોના ધારક છે જેઓને શહેરમાં આવવા માટે પણ ટોકટેક્સ ચૂકવવો પડી રહ્યો છે. શ્રેણી એકમાં કાર માટે એકતરફી રૂ.85 અને રિટર્નના રૂ.125 ટેક્સ જ્યારે શ્રેણી 2માં માલવાહક વાહન 4 વ્હીલ એકતરફીના રૂ. 135 અને રિટર્ન રૂ. 200 છે, આ ઉપરાંત શ્રેણી 3માં ટ્રક એકતરફી રૂ. 280 અને રિટર્ન રૂ. 420 તેમજ શ્રેણી 4માં બસ એકતરફીના રૂ. 305 અને રીટર્ન રૂ. 460 જ્યારે શ્રેણી 5માં 6 વ્હીલર વાહનમાં એકતરફી માટે રૂ. 440 અને રિટર્ન રૂ. 660 તેમજ શ્રેણી 6માં 8 વ્હીલર વાહન એકતરફી માટે રૂ.535 અને રિટર્ન રૂ.805 છે. સમયાંતરે ભાવમાં વધારો ઘટાડો મુજબ ભાવ દર્શાવવામાં આવતા હોય છે. નેશનલ હાઈવે ઓથોરિટીએ નનૈયો ભણ્યો હતોઉલ્લેખનીય છેકે, મનપાની હદમાં આવેલ આ ટોલનાકું દિગ્વિજય ગઢ પછી કોઈપણ સ્થળે ખસેડવામાં આવે તે માટે મનપાના કમિશનર એચ.જે. પ્રજાપતિ દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટીને પત્ર લખી દરખાસ્ત કરવામાં આવી હતી. પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા નનૈયો ભણી દેવામાં આવ્યો હતો. નવા ટાઉન પ્લાનિંગમાં રસ્તો બનાવવા આયોજનમનપાની હદમાં ટોકનાકુ યથાવત છે અને 1 વર્ષથી વધુનો સમય થયો છે. ટોલટેક્સ વસૂલવામાં આવતો હોવાથી મનપાના હદમાં આવેલ દિગ્વિજય ગઢ ગામ સુધી સિટીબસ જતી નથી ત્યારે દિગ્વિજય ગઢ ગામ સુધી રસ્તો બનાવવા આયોજન કર્યું છે પરંતુ નવા ટાઉન પ્લાન્ટિંગમાં સર્વિસ રોડ બનાવવામાં આવશે. સિટીબસ સેવા ત્યાં સુધી જાય તેવા પ્રયાસ ચાલુ છે. > એચ.જે. પ્રજાપતિ, કમિશનર, મનપા, પોરબંદર
તસ્કરોનો આતંક:ખેતીવાડી વિસ્તરણ અધિકારીની કચેરીના તાળા ફરીવાર તૂટ્યા, મોનીટરની ચોરી
પોરબંદરના જિલ્લા પંચાયત સામે આવેલ બિલ્ડિંગમાં તાજેતરમાં જ કચેરીઓના તાળા તૂટ્યા હતા.ત્યારે ફરી આ બિલ્ડિંગમાં આવેલ ખેતીવાડી વિભાગના વિસ્તરણ અધિકારીની કચેરીના તાળા તૂટ્યા હતા.આ કચેરીમાં કોમ્પ્યુટરનું રૂ.10 હજારની કિંમતનું મોનીટર ચોરાયું હતું.આ ઘટનાની 26 જાન્યુઆરીના સાંજે અહીં ફરજ બજાવતા સિક્યોરીટી ગાર્ડને થતા તેમને અધિકારીઓને જાણ કરી હતી. પોરબંદર શહેરના એસ.ટી.રોડ પર આવેલ જિલ્લા પંચાયત કચેરી સામે આવેલ બિલ્ડીંગના પટાંગણમાં આવેલ કચેરીના તાળા તૂટ્યા હતા.ત્યારે હજુ આ ઘટનાના ગણતરીના દિવસો જ થયા છે ત્યારે ફરી આ બિલ્ડીંગમાં આવેલ ખેતીવાડી વિભાગની વિસ્તરણ અધિકારીની તાલુકા કચેરીમાં તાળા તૂટ્યા હતા.આ કચેરીમાં તાળા તોડી અને સખ્સો દ્વારા અહીં રહેલ કોમ્પ્યુટર સિસ્ટમના રૂ.10 હજારની કિંમતના મોનીટરની ચોરી કરવામાં આવી હતી.આ ઘટનાની જાણ 26મી જાન્યુઆરીના સાંજે અહીં ફરજ બજાવતા સિક્યોરીટી ગાર્ડને થતા તેમને આ કચેરીના અધિકારીઓને જાણ કરી હતી. દરવાજા પાસેથી લાઈટ દેખાતા અંદર જોયું-સિક્યોરીટી ગાર્ડ 26 જાન્યુઆરીના સાંજે 9 વાગ્યે જિલ્લા પંચાયત કચેરી સામે આવેલ કચેરીમાં લાઈટ ચાલુ હોવાનું જોવા મળ્યું હતું.જેથી નજીકમાં જઈને જોયું તો ખેતીવાડી વિભાગની કચેરી ખુલ્લી હતી એટલે મેં ખેતીવાડી વિભાગના સુભાસભાઈને ફોન કરી જાણ કરી હતી.>જયેશભાઇ ઢાકેચા, સિક્યોરીટી ગાર્ડ
કાર્યવાહી:ખાપટના જમીન પ્રકરણમાં 42 કરોડથી વધુ રકમની છેતરપિંડીના ગુન્હામાં વધુ એક આરોપી જેલ હવાલે
પોરબંદરના ખાપટ ખાતે આવેલ જમીનમાં આરોપીઓએ રૂ.1,42, 50,000ની છેતરપીંડી કર્યાના ગુનાનાં વધુ એક આરોપીને સુરેન્દ્રનગર જિલ્લા ખાતેથી એલસીબીએ ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી જેલ હવાલે કરવામાં આવ્યો છે. ગત તા.20/1/2026ના રોજ પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથકે ગુન્હો નોંધાયો હતો જેમાં આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી ફરિયાદી મહિલાના પતિના ભાગની ખાપટ ખાતે આવેલ જમીન આરોપીઓ માલિક ન હોવા છતાં ખોટા લખાણ કરી જમીન ખરીદી જમીનનાં રૂપીયા ફરીયાદીના ખાતા માંથી ઉપાડી લઇ ફરિયાદી તથા ફરિયાદીના પતિ સાથે છેતરપીંડી કરી હોવાનો ગુન્હો નોંધાયો હતો. આ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ આ ગુન્હાની તપાસ પોરબંદર પોલીસ અધિક્ષક દ્વારા પોરબંદર એલસીબીને સોંપવામાં આવેલ અને આ ગુન્હાના પકડવાના બાકી આરોપીઓને પકડી પાડવા કરેલ સુચના અનુસંધાને એલસીબી પીઆઈ આર.કે.કાંબરીયા ના માર્ગદર્શન મુજબ સ્ટાફના વિરેન્દ્રસિંહ પરમારને ખાનગીરાહે હકીકત મળેલ કે, પકડવાના બાકી આરોપી આયુષ વિરમ કારાવદરા હાલ સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલ રિવાઇવલ ફાઉન્ડેશન ખાતે હોય જેથી બાતમી આધારે આરોપીની તપાસમાં મોકલતા આ આરોપી સુરેન્દ્રનગર જીલ્લાના રિવાઇવલ ફાઉન્ડેશન ખાતેથી મળી આવતા આરોપી આયુષ વિરમ કારાવદરાને ઝડપી લઇ અટક કરી કાર્યવાહી હાથ ધરી કોર્ટમાં રજૂ કરી આ આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો છે. 3 આરોપી જેલહવાલે થયા છે ખાપટ જમીનમાં છેતરપિંડીના આરોપી લાખા અરજન કેશવાલા, દિલીપ હરભમ રાણાવાયા અને ઇબ્રાહીમ અબુ લાખાની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી કોર્ટમાં રજૂ કરી આ ત્રણેય આરોપીને જેલ હવાલે કર્યા છે. આ ગુન્હામાં હજુ 3 આરોપી ફરાર હોય જેથી પોલીસે આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
ભાસ્કર એનાલિસીસ:આજે મહેસાણા સહિત ઉ.ગુ.માં ઠંડી 3-5 ડિગ્રી વધશે, પારો 12 ડિગ્રીથી નીચે જશે
ઉત્તર ગુજરાતમાં મંગળવારે દિવસ-રાતના તાપમાનમાં અસામાન્ય ફેરફાર જોવા મળ્યો હતો. વહેલી સવારે લઘુત્તમ તાપમાન અઢી ડિગ્રી વધતાં ઠંડીનો પારો 15 ડિગ્રીની આસપાસ, જ્યારે દિવસનું તાપમાન બે ડિગ્રી ઘટતાં તાપમાન 26 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. આજે એક દિવસ માટે લઘુત્તમ તાપમાન 3થી 5 ડિગ્રી ઘટતાં ઠંડીનો પારો 12 ડિગ્રી કે તેથી નીચે જવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં છેલ્લા 48 કલાક દરમિયાન ઠંડીનો પારો સાડા ચાર ડિગ્રી જેટલો ઘટ્યો છે. મંગળવારે સવારે પાંચ દિવસ બાદ લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ નોંધાતા વહેલી સવારમાં ફુલગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો. બપોર બાદ ઉત્તર ગુજરાતમાં ઠંડા પવન ફૂંકાવાનું શરૂ થતાં વાતાવરણમાં વધુ ઠંડક પ્રસરી ગઈ હતી. સરેરાશ પ્રતિ કલાક 11 કિમીની ઝડપે ફૂંકાયેલા ઠંડા પવનના કારણે દિવસનું તાપમાન બે ડિગ્રી જેટલું ઘટ્યું હતું. મુખ્ય પાંચ શહેરોમાં દિવસનું તાપમાન સરેરાશ 26 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. જ્યારે સાંજે 5.30 વાગ્યે પારો ગગડીને 23.5 ડિગ્રી આસપાસ પહોંચતાં ઠંડકનું પ્રમાણ વધુ વધ્યું હતું. બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ આજે ઉત્તર ગુજરાતમાં ઉત્તર દિશાના નીચા સ્તરના ઠંડા પવન ફૂંકાવાની શક્યતા છે. જેને કારણે લઘુત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધુ ઘટાડો નોંધાઈ શકે છે. આ સ્થિતિમાં પારો 12 ડિગ્રી કે તેથી નીચે જઈ શકે છે અને કાતિલ ઠંડીનો અનુભવ થવાની શક્યતા છે. જો કે, હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ઠંડીનો આ રાઉન્ડ એક દિવસ પૂરતો રહી શકે છે. 29 જાન્યુઆરીથી ફરી એકવાર ઠંડા પવન નબળા પડવાની સંભાવના છે. પરિણામે 31 જાન્યુઆરી સુધીમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો થતાં વહેલી સવારનું તાપમાન 14 થી 15 ડિગ્રીની આસપાસ પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે ઉત્તર ગુજરાતમાં ઠંડી ધીમે ધીમે નબળી પડશે.
શિલ્પકળા:SAPTI થકી ધ્રાંગધ્રાના ચુલી ગામનો યુવાન બન્યો શિલ્પકળામાં પારંગત, મહિને રૂ. 40 હજારની કમાણી
રાજ્ય સરકાર દ્વારા સ્થાવિત સ્ટોન આર્ટિસન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (SAPTI)માંથી ડિસેમ્બર 2025 સુધીમાં, કુલ 674 ઉમેદવારો સ્નાતક થયા છે. આ સંસ્થા પથ્થરકલાના મૂલ્યવાન વારસાને જાળવવા સાથે યુવાનોને આત્મનિર્ભર બનાવી રહી છે. રાજ્યમાં અંબાજી (બનાસકાંઠા) અને ધ્રાંગધ્રા ખાતે- એમ બે આર્ટિઝન પાર્ક્સની સ્થાપના કરાઈ છે. ધ્રાંગધ્રાનો યુવાન સંસ્થા થકી શિલ્પકળામાં પારંગત બન્યો છે. ઉત્તર ગુજરાતમાં સ્થિત SAPTI-અંબાજી આરસના શિલ્પો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં સ્થિત SAPTI-ધ્રાંગધ્રા રેતી-પથ્થરના શિલ્પો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વર્ષ 2022થી 2025 દરમિયાન SAPTIના બંને કેન્દ્રો પર 1,082 ઉમેદવારોની નોંધણી થઈ છે. ધ્રાંગધ્રાના અક્ષયે ચંડીગઢમાં 2 પ્રોજેક્ટ પૂર્ણ કર્યાધ્રાંગધ્રાના ચુલી ગામના યુવાન અક્ષય પિલાણી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ પોલીસ અથવા આર્મીમાં જોડાવા માગતા હતા. SAPTI-ધ્રાંગધ્રાના માધ્યમથી પથ્થર હસ્તકલા અને ડિઝાઇનમાં કારકિર્દીની તક વિશે જાણવા મળ્યું. સ્ટોન ક્રાફ્ટ અને ડિઝાઇન કોર્સમાં પ્રવેશ મેળવ્યા બાદ તેમની કારકિર્દીને નવો વળાંક મળ્યો હતો. અક્ષયે પથ્થરની કોતરણી, ચિત્રકામ, પ્રોડક્ટ ડિઝાઇન અને આધુનિક મશીનરીના ઉપયોગ સાથે પરંપરાગત કોતરણીની ટેકનિકમાં પણ નિપુણતા મેળવી. ખેડૂત પરિવારમાંથી આવતા અક્ષય પિલાણીએ આજે એક નિષ્ણાત કારીગર તરીકેની ઓળખ સ્થાપિત કરી છે. તેમણે ચંડીગઢમાં બે મોટા સ્ટોન કાર્વિંગ (પથ્થરની કોતરણી) પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આજે તેઓ દર મહિને લગભગ ₹40,000 કમાય છે.
અમદાવાદના નિકોલમાં રહેતા એક યુવકે દહેગામ પાસે આવેલી ઝાક-જલુન્દ્રા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મોતની છલાંગ લગાવતા પહેલા યુવકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર લાઈવ થઈને પોતાની આપવીતી જણાવી હતી. જોકે કેનાલમાં શોધખોળ કરવા છતા હજી યુવકનો પત્તો નહીં લાગતા પોલીસ ચોપડે સત્તાવાર નોંધ થઈ નથી. યુવક ગુજરાત સરકારના મંત્રીનો સંબંધી હોવાની ચર્ચા છે. યુવકે કારમાં બેસીને ફેસબુક લાઈવ કર્યું હતુંઅમદાવાદના નિકોલના ભાવેશ પટેલ નામનો યુવક આજે પોતાની કાર લઈને દહેગામ પાસે આવેલી ઝાક-જલુન્દ્રા કેનાલ પર પહોંચ્યો હતો. કેનાલમાં કૂદતા પહેલા તેણે કારમાં બેસીને ફેસબુક લાઈવ કર્યું હતું. જેમાં તેણે વીડિયોમાં સંજય બાલધા અને ગીરીશ બાલધા બે ભાઈઓ સામે સનસનીખેજ આક્ષેપો કર્યા હતા. ધમકી આપીને બે ભાઈઓ ત્રાસ આપતા:ભાવેશભાવેશના આક્ષેપો મુજબ પાણીનું બિલ ભરવા બાબતે અને પાણીનું કનેક્શન કાપી નાખવાની ધમકી આપીને સંજય બાલધા અને ગીરીશ બાલધા બે ભાઈઓ તેને સતત માનસિક ત્રાસ આપી રહ્યા હતા. આ બંને ભાઈઓની અવારનવારની ધમકીઓ અને માથાકૂટથી કંટાળીને તે આ અંતિમ પગલું ભરી રહ્યો હોવાનું તેણે વીડિયોમાં કબૂલ્યું હતું. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયોભાવેશ પટેલે લાઈવ વીડિયોમાં ખૂબ જ ગમગીન અવસ્થામાં જણાવ્યું કે, તે સત્ય હકીકત દુનિયા સામે મૂકીને જઈ રહ્યો છે. તેણે પોલીસ તંત્રને નમ્ર અપીલ કરતા કહ્યું હતું કે, તેના ગયા પછી જવાબદાર બંને ભાઈઓ સામે સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ વીડિયો જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ કેનાલ પર દોડી આવ્યાઆ ઘટનાની જાણ થતા જ દહેગામ પોલીસનો કાફલો કેનાલ પર દોડી ગયો હતો. દહેગામ અને ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઉપરાંત બહીયલના સ્થાનિક તરવૈયાઓને પણ યુવકની શોધમાં જોડાયા હતાં. ઝાક-જલુન્દ્રાથી રાયપુર કેનાલ સુધીના અંદાજે બે કિલોમીટરથી વધુના પટ્ટામાં સર્ચ કરવામાં આવ્યું હતું. મોડી સાંજ સુધી યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. પોલીસ ચોપડે હજી કશું દાખલ કરવામાં આવ્યું નથી- PIજ્યારે દહેગામ પોલીસ મથકના પીઆઇ મુકેશ દેસાઈ સાથે ટેલિફોનિક વાતચીત કરતાં જણાવ્યું કે, નિકોલનો ભાવેશ ફેસબુક લાઇવ કરીને કેનાલમાં પડ્યો હોવાની વાત છે. પરંતુ હજી કોઈ લાશ મળી નથી. પોલીસ ચોપડે હજી કશું દાખલ કરવામાં આવ્યું નથી. 18 જાન્યુઆરીએ થરાદમાં યુવકની દોડીને નર્મદા કેનાલમાં મોતની છલાંગ, CCTVથરાદની નર્મદા મુખ્ય કેનાલમાં ઝંપલાવનાર યુવકનો મૃતદેહ રવિવારે મળ્યો છે. ત્રણ દિવસની સઘન શોધખોળ બાદ રવિવારે વહેલી સવારે લુણાલ પુલ નજીકથી મળી આવ્યો છે. ફાયર વિભાગની ટીમે લાશને બહાર કાઢી પોલીસને સોંપી હતી, જેને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. દરમિયાન આપઘાતના આ ચકચારી બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. (વાંચો સંપૂર્ણ સમાચાર) 7 ડિસેમ્બરે અડાલજ-ખોરજ નજીકની નર્મદા કેનાલમાં વૃદ્ધની મોતની છલાંગગાંધીનગરના અડાલજ-ખોરજ નજીક આવેલી નર્મદા કેનાલમાં અમદાવાદના છારોડી વિસ્તારના એક 54 વર્ષીય વૃદ્ધે અગમ્ય કારણોસર પડતું મૂકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર) ધીરજને વોટર ફોબિયા હતો તો કેમ કેનાલમાં કૂદી આપઘાત કર્યો?ગાંધીનગર જિલ્લામાં બોરીસણા ગામના અને 3 પેટ્રોલ પંપના માલિક એવા ધીરજ ભલાભાઈ રબારીએ 2 વ્હાલસોયી દીકરીઓ સાથે નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવતા ભલભલાના હ્રદય કંપી ઉઠ્યા છે. આધારકાર્ડ કઢાવવા જઇએ છીએ તેવું કહી ઘરેથી કારમાં નીકળેલા ધીરજે પોતાના ઘર કલોલની બલરામ પાર્ક સોસાયટીથી અંદાજિત 5.9 કિલોમીટર દૂર પિયજ ગામની નર્મદા કેનાલ પહોંચી પોતાની બે દીકરીઓ સાથે મોતની છલાંગ લગાવી દીધી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર) 3 પેટ્રોલ પંપના માલિકનો નર્મદા કેનાલમાં 2 દીકરી સાથે આપઘાતગાંધીનગર જિલ્લામાં બોરીસણા ગામના અને 3 પેટ્રોલ પંપના માલિક એવા ધીરજ ભલાભાઈ રબારીએ 2 વ્હાલસોયી દીકરીઓ સાથે નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવતા ભલભલાના હ્રદય કંપી ઉઠ્યા છે.(વાંચો સંપૂર્ણ સમાચાર)
OTP સર્વિસથી લાખોનું ફ્રોડ!:ગુજરાત સાયબર સેલે CaaS ગેંગનો પર્દાફાશ કર્યો, 6 દેશોની કડી ખુલ્લી
ગુજરાત સાયબર ક્રાઇમ સેલ ઓફ એક્સેલેન્સે એક ગંભીર અને હાઇ-ટેક સાયબર ગુનાનો પર્દાફાશ કરી Cyber Crime as a Social Service (CaaS) મોડલ પર ચાલતી આંતરરાષ્ટ્રીય ગેંગને ઝડપી લીધી છે. આ ગેંગ સીધો ફ્રોડ કરતી નહોતી, પરંતુ OTP સર્વિસ, ધમકીભર્યા ઇમેલ, મ્યુલ એકાઉન્ટ અને ઈ-કોમર્સ ફ્રોડ માટે 300થી 400 અલગ-અલગ સર્વિસ પૂરી પાડતી હતી, જેના આધારે અન્ય સાયબર ગુનેગારો લોકો સાથે ઠગાઈ કરતા હતા. વેબસાઇટ્સ મારફતે OTP સર્વિસ વેચવામાં આવતીપોલીસ તપાસમાં સામે આવ્યું છે કે OTPBUY.COM, Super OTP જેવી વેબસાઇટ્સ મારફતે OTP સર્વિસ વેચવામાં આવતી હતી, જેનો ઉપયોગ બેંકિંગ, ઈ-કોમર્સ અને સોશિયલ મીડિયા અકાઉન્ટ હેક કરવા માટે થતો હતો. આ વેબસાઇટ્સ ચીનમાં બેઠેલા સંપર્કોના માર્ગદર્શનથી ચલાવવામાં આવતી હતી, જેનાથી ગેંગની આંતરરાષ્ટ્રીય સાંકળ સ્પષ્ટ થઈ છે. 60 વેબસાઇટ્સ અને 50 ઇમેલ ID ટ્રેસ કર્યાસાયબર સેલે તપાસ દરમિયાન કુલ 9 સર્વર શોધી કાઢ્યા, જેમાંથી 8 સર્વરમાંથી મહત્વપૂર્ણ ડિજિટલ ડેટા પ્રાપ્ત થયો. છેલ્લા દોઢ વર્ષમાં આ ગેંગ દ્વારા 25 હજારથી વધુ સાયબર કરતૂતો કરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ઉપરાંત 60 વેબસાઇટ્સ અને 50 ઇમેલ ID ટ્રેસ કરવામાં આવી છે. આ ગેંગમાં 6 દેશોના આરોપીઓ સામેલ હોવાનું સામે આવ્યું છે. ગુજરાત સાયબર ક્રાઇમ ઓફ એક્સેલેન્સ દ્વારા મધ્યપ્રદેશમાંથી બે આરોપી ઝડપાયા છે. આરોપીઓના નામ આરોપીઓના બેંક ખાતાઓમાં 17.54 લાખના નાણાંકીય વ્યવહારોતપાસ દરમિયાન આરોપીઓ પાસેથી 4 મોબાઈલ ફોન, 2 ક્રિપ્ટો વોલેટ, 11 UPI ID મળી આવ્યા છે. આ ઉપરાંત 20 લાખ રૂપિયાના USDT (ક્રિપ્ટો કરન્સી) વ્યવહારો અને આરોપીઓના બેંક ખાતાઓમાંથી 17.54 લાખ રૂપિયાના નાણાંકીય વ્યવહારો સામે આવ્યા છે. 'CaaS મોડલ ભવિષ્ય માટે વધુ ખતરનાક'ગુજરાત સાયબર સેલના અધિકારીઓએ જણાવ્યું કે, CaaS મોડલ ભવિષ્ય માટે વધુ ખતરનાક છે, કારણ કે તેમાં એક ગેંગ અનેક ગુનેગારોને સાયબર ગુના કરવા માટે ટેકનિકલ સુવિધા પૂરી પાડે છે. હાલ વધુ આરોપીઓની શોધ અને આંતરરાષ્ટ્રીય કડીઓ અંગે તપાસ ચાલુ છે. સાયબર સુરક્ષા નિષ્ણાતોએ નાગરિકોને અજાણી વેબસાઇટ, શંકાસ્પદ OTP કોલ/મેસેજ અને ઇમેલથી સાવચેત રહેવાની અપીલ કરી છે.
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા નિયમો સામે દેશભરમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે. યુપી, નવી દિલ્હી સહિતના રાજ્યોમાં સવર્ણોના વિવિધ સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે. હવે ગુજરાતમાં પણ નવા નિયમો સામે વિરોધના પડઘમ સંભળાવવા લાગ્યા છે. સુરત અને રાજકોટમાં બ્રહ્મ સમાજે આવેદન પાઠવી નિયમોના અમલીકરણ સામે આકરી ચીમકી ઉચ્ચારી છે. જ્યારે મહેસાણામાં પાટીદાર સમાજ દ્વારા નવા નિયમોને બંધારણીય ભાવના વિરુદ્ધ ગણાવી તાત્કાલિક પાછા ખેંચવાની માંગણી કરવામાં આવી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને ગઈ 13 જાન્યુઆરીના રોજ નવા નિયમોને નોટિફાઈ કર્યા હતા. જે અંતર્ગત કોલેજ-યુનિવર્સિટીમાં જાતિ આધારિત ભેદભાવ રોકવા માટે વિશેષ સમિતિઓ બનાવવાના નિર્દેશન આપવામાં આવ્યા હતા. જેમાં સમિતિ ખાસ રીતે SC, ST અને OBC સ્ટુડન્ટની ફરિયાદો સાંભળશે. આ વ્યવસ્થા જનરલ કેટેગરીના સ્ટુડન્ટ વિરોધી હોવાનું કહીને વિરોધ શરૂ થયો છે. ઉલ્લેખનીય છે કે, 2016માં હૈદરાબાદ યુનિવર્સિટીના દલિત વિદ્યાર્થી રોહિત વેમુલા અને 2019માં ડોક્ટરનું ભણતી દલિત વિદ્યાર્થિની પાયલ તડવીએ આત્મહત્યા કરી હતી. બંનેએ કોલેજમાં જાતીય ઉત્પીડનથી કંટાળીને આ પગલું ભર્યું હતું, ત્યારે કોલેજમાં થતાં જાતીય ભેદભાવ રોકવા માટે UGCએ નવા નિયમો બનાવ્યા છે. સુરતમાં UGCને 'કાળો કાયદો' ગણાવી રદ કરવાની માગસુરત શહેરમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા લાગુ કરવામાં આવેલા નવા કાયદા સામે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બ્રહ્મ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરી ખાતે એકત્ર થયા હતા અને આ કાયદાને 'કાળો કાયદો' ગણાવી રદ કરવાની માગ કરી હતી. બ્રહ્મ સમાજે રાષ્ટ્રપતિને સંબોધતું આવેદનપ કલેક્ટરને પાઠવ્યુંપ્રદર્શનકારીઓના જણાવ્યા અનુસાર, આ નવો કાયદો સવર્ણ સમાજના બાળકોના ભવિષ્ય અને તેમની સુરક્ષા સામે મોટા સવાલો ઉભા કરે છે. આ બાબતે બ્રહ્મ સમાજ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધતું એક આવેદનપત્ર કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું, જેમાં સવર્ણ વિદ્યાર્થીઓ સાથે થતા અન્યાયને રોકવા માટે કાયદામાં તાત્કાલિક સુધારો કરવાની રજૂઆત કરવામાં આવી છે. બાળકોના ભવિષ્ય સાથે ચેડાં સહન નહીં કરાય: જયદીપ ત્રિવેદીબ્રહ્મ સમાજના આગેવાન જયદીપ ત્રિવેદીએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, સરકારે UGCમાં આ પ્રકારનો કાયદો લાગુ કરીને સવર્ણ સમાજ સાથે દેખીતો અન્યાય કર્યો છે. સવર્ણ બાળકોના ભવિષ્ય સાથે થતા ચેડાં સહન કરવામાં નહીં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. હાલમાં કલેક્ટર કચેરી ખાતે બ્રાહ્મણ સમાજના વિરોધને પગલે વાતાવરણ ગરમાયું હતું અને સરકાર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. UGCના નવા નિયમ 'કાળા કાયદા' સમાન: મિલન શુક્લાસૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજના ટ્રસ્ટી અને બ્રહ્મદેવ સમાજના રાષ્ટ્રીય મહાસચિવ મિલન શુક્લાએ જણાવ્યું હતું કે, UGCનો જે અધિનિયમ સરકાર લાવી છે તે 'કાળા કાયદા' સમાન છે. જેમાં એવું પ્રદાન છે કે, સવર્ણ જ્ઞાતિના બાળકો વિરૂદ્ધ ST, SC કે OBC સમાજના વિદ્યાર્થીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવે તો સાત દિવસમાં તેનું રિઝલ્ટ આપવાનું અને 90 દિવસમાં તેમની સામે ગુનો દાખલ કરવાનો. હોસ્ટેલમાં રહેતા હોય તો ત્યાંથી કાઢી મુકવાનો અથવા કોલેજમાંથી પણ દૂર કરવાનો. 'ખોટી ફરિયાદ કરનાર સામે કોઈ કાર્યવાહીનો ઉલ્લેખ નથી'અમારો વિરોધ એ નથી કે આ પ્રકારનું કોઈ કૃત્ય કરે તો તેની સામે કાર્યવાહી કરવામાં ન આવે. અમારી વાત એવી છે કે, ખરેખર કોઈ ખોટી ફરિયાદ કરે તો તેની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહીનો ઉલ્લેખ નથી. એ આ કાયદાના અમલીકરણ માટેની કમિટી બનાવવામાં આવી છે તેમાં પણ સવર્ણોને લેવા તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને OCB વર્ગને આ કમિટીમાં રાખવામાં આવ્યા છે. બધા જ જાણે છે કે, OBC એટલે કોઈ જ્ઞાતિ નથી. જ્ઞાતિ જ નથી તો તમે તેને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કઈ રીતે કરો. 'જ્ઞાતિઓનું વિભાજન કરી મતોનું ધ્રુવીકરણ સવર્ણો ચલાવી લેશે નહીં'દેશમાં ભાજપ સરકાર સવર્ણો એટલે કે, બ્રાહ્મણો, ક્ષત્રિયો અને જૈન દરેક વિધાનસભા અને લોકસભા સીટ ઉપર છે, ત્યારે સૌથી વધુ અસર અમારા બાળકોને થવા જઈ રહી છે. 28 રાજ્યમાં આ કાળા કાયદાનો વિરોધ ચાલુ છે. ગુજરાતમાં બ્રહ્મ સમાજ અને કરણીસેનાએ સાથે રહીને રાજકોટ કલેક્ટરને રજૂઆત કરી હતી અને પાટીદાર સમાજના આગેવાનો પણ અમારી સાથે છે. જ્ઞાતિઓનું વિભાજન કરીને મતોનું ધ્રુવીકરણ કરવામાં આવી રહ્યું છે તે હવે સવર્ણો ચલાવી લેશે નહીં. 'SC-ST કાસ્ટને પહેલેથી એટ્રોસિટી એક્ટ મળ્યો છે'તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી રાજકીય પક્ષોએ માણસોને અલગ અલગ જ્ઞાતિઓમાં વિભાજિત કરીને રાજનીતિ કરી છે. SC-ST કાસ્ટને પહેલેથી એટ્રોસિટી એક્ટ મળ્યો છે અને OBCએ આ પ્રકારના કાયદાની કોઈ માગ પણ કરી નથી. દેશની 52,000 યુનિવર્સિટીઓમાંથી 0.5 ટકા એટલે કે, 273 જેટલા જ કેસો હોવાનું જાણવા મળી રહ્યું છે. 'લોકસભા-વિધાનસભાની ચૂંટણીમાં મતથી જવાબ આપીશું'JNU જેવી યુનિવર્સિટીમાં બ્રાહ્મણ બન્યા ભારત છોડો ઉપરાંત તિલક, તરાજુ અને તલવાર ઇસકો મારો જૂતે ચાર આ પ્રકારના નારા લગાવી શકાતા હોય તો તે કોઈ રાજકીય પક્ષોને દેખાતું નથી. સવર્ણોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રની ભાજપ સરકાર આ કાયદો અમલમાં નહીં લાવે તેવો પૂરો વિશ્વાસ છે અને તેમ છતાં પણ જો આ કાયદો અમલમાં આવ્યો તો અમે રસ્તા પર નહીં ઉતરીએ પરંતુ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં મતથી તેનો જવાબ આપીશું. મહેસાણામાં પાટીદાર સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયુંમહેસાણામાં શ્રી સરદાર પટેલ સેવાદળ દ્વારા આ મામલે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંબોધીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં આ નવા નિયમોને બંધારણીય ભાવના વિરુદ્ધ ગણાવી તાત્કાલિક પાછા ખેંચવાની માગ કરવામાં આવી છે. જાતિ આધારિત ભેદભાવ રોકવાના નિયમ સામે વિરોધસેવાદળ દ્વારા રજૂ કરવામાં આવેલા આવેદનપત્ર મુજબ, 15 જાન્યુઆરી 2026ના રોજ ગેઝેટમાં પ્રસિદ્ધ થયેલા આ નિયમો ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જાતિ આધારિત ભેદભાવ રોકવાના હેતુથી બનાવવામાં આવ્યા છે. આ અંતર્ગત તમામ યુનિવર્સિટીઓમાં 90 દિવસમાં 'સમાનતા સમિતિ'ની રચના કરવાની જોગવાઈ છે. 'બંધારણીય રક્ષણને સંપૂર્ણપણે અવગણવામાં આવ્યા'જોકે, શ્રી સરદાર પટેલ સેવાદળ સંગઠનનો આરોપ છે કે, આ સૂચનામાં માત્ર અમુક ચોક્કસ વર્ગો SC, ST, OBC અને દિવ્યાંગના અધિકારો પર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જ્યારે સામાન્ય શ્રેણી જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓના અધિકારો અને તેમના બંધારણીય રક્ષણને સંપૂર્ણપણે અવગણવામાં આવ્યા છે. ‘સમાજના તમામ વર્ગો માટે ન્યાય સુનિશ્ચિત કરવાનો હોવો જોઈએ’પત્રમાં જણાવાયું છે કે, ભારતનું બંધારણ કલમ 14, 15 અને 21 હેઠળ તમામ નાગરિકોને સમાનતાનો અધિકાર આપે છે. UGCના આ નવા નિયમો એકતરફી અભિગમ ધરાવે છે અને તે સમાન તકના સિદ્ધાંતને નબળો પાડે છે. કોઈપણ સરકારી નિયમનો ઉદ્દેશ્ય સમાજના તમામ વર્ગો માટે ન્યાય સુનિશ્ચિત કરવાનો હોવો જોઈએ, પરંતુ આ નિયમોથી શૈક્ષણિક સંસ્થાઓમાં અસંતુલન ઊભું થવાની ભીતિ સેવાઈ રહી છે. સંગઠનની નિયમોને રદ કરવા માગશ્રી સરદાર પટેલ સેવાદળે આ બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, બંધારણના મૂળભૂત માળખા સાથે સુસંગત ન હોય તેવા આ નિયમો શૈક્ષણિક જગતમાં વિષમતા ઊભી કરી શકે છે. આથી રાષ્ટ્રહિત અને વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં આ વિવાદાસ્પદ નિયમોને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
વડોદરાના કમાટીબાગ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત બાળમેળામાં મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા હતા. ભીડનો લાભ લઈને ચોરોએ અનેક મુલાકાતીઓના મોબાઈલ ફોન ચોરી કર્યા હતા, જેનાથી લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. એક મહિલાને પકડીને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. સયાજીગંજ પોલીસે આ મામલે આરોપી મહિલાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. મોબાઇલ ચોરી કરતી મહિલા CCTVમાં કેદ થઈ ગઈ હતી. મહિલાઓએ મહિલા ચોરને માર માર્યોવડોદરા શહેરના કમાટીબાગમાં બાળમેળામાંથી 20થી વધુ લોકોના મોબાઈલ ફોન ચોરાયા હોવાના લોકોએ આક્ષેપ કર્યા હતા. નાના બાળકોથી લઈને મોટા સુધી કોઈને પણ ચોરોએ નહોતા છોડ્યા. ભીડભાડવાળા વાતાવરણમાં ચોરોએ તકનો ભરપૂર લાભ ઉઠાવ્યો હતો. આ ઘટનાઓથી મુલાકાતીઓને કડવો અનુભવ થયો હતો અને બાળમેળાની સુરક્ષા વ્યવસ્થા પર પણ ગંભીર સવાલો ઉઠ્યા હતા. આ દરમિયાન એક મહિલા કિરણબેન દંતાણી, (રહે: સંતરામ મંદિર પાસે, નડિયાદ, જિલ્લો-ખેડા) લોકોના હાથમાં ચડી ગઈ હતી અને મહિલાઓએ તેને પકડીને મેથીપાક ચખાડ્યો હતો. મહિલા ચોરને ઝડપી પાડી 5 મોબાઈલ જપ્ત કર્યાસયાજીગંજ પોલીસે આ અંગે મળેલી 4 ફરિયાદો અને 8 અરજીના આધારે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે હ્યુમન રિસોર્સ તેમજ ટેકનિકલ રિસોર્સનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરી અને એક મહિલા આરોપી કિરણબેન દંતાણીને 1.25 લાખ રૂપિયાની કિંમતના 5 મોબાઈલ સાથે પકડી પાડી હતી. 'મારી બેગની ચેન ખોલી અંદરથી મોબાઈલ ચોરી લીધો'ફરિયાદી મહિલાએ જણાવ્યું હતું કે, હું કમાટીબાગમાં બાળમેળામાં હતી. હું મારા બાળકો માટે જમવાનું લેવા ગઈ હતી, ત્યારે કોઈએ મારી બેગની ચેન ખોલીને અંદરથી મારો મોબાઈલ ચોરી લીધો છે. મારી નમ્ર વિનંતી છે કે, મારો મોબાઈલ જલ્દીથી મળી જાય. એ ફોન મારા માટે ખૂબ જરૂરી છે. 'મોબાઈલ વગર બાળકોના અભ્યાસમાં ઘણી મુશ્કેલી પડી રહી છે'તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મારા બાળકોના ટ્યુશન અને સ્કૂલના અભ્યાસને લગતું તમામ મટીરિયલ અને લેસન તે મોબાઈલમાં જ આવે છે. મોબાઈલ વગર બાળકોના અભ્યાસમાં ઘણી મુશ્કેલી પડી રહી છે. પોલીસનો મને સારો સહકાર મળ્યો છે. તેમણે મારી ફરિયાદ નોંધી લીધી છે અને મને આશ્વાસન આપ્યું છે કે, મારો મોબાઈલ ટૂંક સમયમાં મળી જશે. 'મહિલા આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી'સયાજીગંજ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ જે પંડ્યાએ જણાવ્યું હતું કે, મોબાઈલ ચોરી થયાની પોલીસ ફરિયાદો મળી હતી. જેના આધારે મહિલા આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં પ્રથમ વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ઇન્ટર યુનિવર્સિટી ક્રિકેટ ભાઈઓની વેસ્ટ ઝોનની સાથે ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીની સ્પર્ધા મળી છે. જેમાં વેસ્ટ ઝોનની ક્રિકેટ સ્પર્ધાનો આજે 27મી જાન્યુઆરીથી પ્રારંભ થઈ ચૂક્યો છે. જેમાં દેશના પાંચ રાજ્યોની 154 યુનિવર્સિટીની ટીમે ભાગ લીધો છે. જે 8મી ફેબ્રુઆરી સુધી યોજાશે અને ત્યારબાદ ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ક્રિકેટ ટુર્નામેન્ટ પણ અહીં જ યોજાવાની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિતના 9 મેદાનો પર ક્રિકેટ ટુર્નામેન્ટટી-20 ફોર્મેટમાં યોજાનારી ક્રિકેટ સ્પર્ધામાં અંડર-25ના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે ત્યારે અહીં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિતના 9 મેદાનો પર રણજી, IPL ના નેશનલ - ઈન્ટરનેશનલ ખેલાડીઓની ફટકાબાજી જોવા મળશે. 8 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જ્યારે આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન થશે ત્યારે કેન્દ્રીય રમત ગમત મંત્રી મનસુખ માંડવીયા, ગુજરાત રાજ્યના રમત ગમત મંત્રી એવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે ઇન્ટરનેશનલ ક્રિકેટ ખેલાડીઓ જેવા કે રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પુજારા અને જયદેવ ઉનડકટને આમંત્રિત કરવામાં આવ્યા છે. ક્રિકેટ ભાઈઓની વેસ્ટ ઝોન ટુર્નામેન્ટ 27 જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી સુધીઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ રાબાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રથમ વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોન અને ઓલ ઇન્ડિયા ક્રિકેટની સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે. ક્રિકેટ ભાઈઓની વેસ્ટ ઝોન ટુર્નામેન્ટ 27 જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી સુધી છે. સવારે 9 થી 12.30 અને બપોરે 1.30 થી 4.30 દરમિયાન અલગ અલગ મેચો યોજાશે. જેમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગોવાની 154 યુનિવર્સિટીના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. મારવાડી યુનિવર્સિટીની સેજ યુનિવર્સિટી સામે 79 રને જીત આજે પ્રથમ દિવસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આયોજિત વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી ક્રિકેટ ટુર્નામેન્ટ (મેન) 2025-26 અંતર્ગત રમાયેલી 13 રોમાંચક મેચોમાં ખેલાડીઓએ અદભૂત પ્રદર્શન કર્યું છે. જેમાં મૌલાના આઝાદ યુનિવર્સિટીના રાજદીપ ચૌધરીએ અદાણી યુનિવર્સિટી સામે માત્ર 72 બોલમાં 192 રન ફટકારી ટુર્નામેન્ટની સર્વોચ્ચ ઇનિંગ રમી હતી. અન્ય મેચોમાં, પુણ્યશ્લોક અહલ્યાદેવી હોલકર યુનિવર્સિટીએ નારાયણ ડોકેની 6 વિકેટની મદદથી બીકાનેરને 124 રને હરાવ્યું, જ્યારે મારવાડી યુનિવર્સિટીના કેપ્ટન સવસાણી આર્યને 4 વિકેટ ઝડપી સેજ યુનિવર્સિટી સામે 79 રને જીત અપાવી હતી. શિવાજી યુનિવર્સિટીની 10 રને રોમાંચક જીતપારુલ યુનિવર્સિટીએ દીપ પટેલના 84 રન અને 2 વિકેટના ઓલરાઉન્ડ દેખાવથી PDUSU સામે 25 રને વિજય મેળવ્યો. તો MLSU ના આભાસ શ્રીમાળીએ 11 રનમાં 5 વિકેટ લઈ કવયિત્રી બહિણાબાઈ યુનિવર્સિટીને પરાજય આપ્યો. શિવાજી યુનિવર્સિટીએ આદિત્ય પાટીલના 46 રન અને 3 વિકેટની મદદથી HSNC યુનિવર્સિટી સામે 10 રને રોમાંચક જીત મેળવી, અને ચારુસેટ યુનિવર્સિટીએ સુરેન્દ્રનગર યુનિવર્સિટી સામેની ટાઈ મેચમાં સાહિદના પ્રદર્શનથી સુપર ઓવરમાં વિજય પ્રાપ્ત કર્યો. વિક્રમ યુનિવર્સિટીએ ગોવિંદ ગુરુ યુનિવર્સિટીને 8 વિકેટે હરાવ્યુંસાંકળચંદ પટેલ યુનિવર્સિટીએ પ્રેમ પટેલના અણનમ 55 રન અને પ્રીત ચૌધરીની 3 વિકેટથી ઔરો યુનિવર્સિટીને 9 વિકેટે હરાવી, જ્યારે JSPM યુનિવર્સિટીએ ક્ષિતિજ પવારની ઘાતક સ્પેલ (2 રનમાં 4 વિકેટ) ની મદદથી કે. એન. મોદી યુનિવર્સિટી સામે 10 વિકેટે જીત નોંધાવી હતી. વિક્રમ યુનિવર્સિટીએ હર્ષિલ રાવના 58 રન છતાં શુભમ વિશ્વકર્માની 3 વિકેટની મદદથી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીને 8 વિકેટે હરાવ્યું, RGVP ભોપાલ તરફથી દિવ્ય કૃષ્ણ મિત્તલની ૩ વિકેટથી અકોલા સામે 10 વિકેટે વિજય થયો. ડીવાય પાટીલ યુનિવર્સિટીની જીતક્રાંતિ સૂર્ય ટાંટ્યા ભીલ યુનિવર્સિટીએ હરીશની 3 વિકેટ અને પ્રણવ ઠાકરના 40 રનથી રાની અવંતી બાઈ લોધી યુનિવર્સિટીને 7 વિકેટે પરાજય આપ્યો અને અંતે ડીવાય પાટીલ યુનિવર્સિટીએ ડૉ. આદિત્ય દેવલની 4 વિકેટ અને અણનમ 12 રનના જોરે કવિ કુલગુરુ કાલિદાસ સંસ્કૃત યુનિવર્સિટી સામે 10 વિકેટે ભવ્ય જીત હાંસલ કરી હતી. આ 9 ક્રિકેટ મેદાનો પર ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીના નેશનલ - ઈન્ટરનેશનલ ખેલાડીઓની ફટકાબાજી જોવા મળશે 1. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મેદાન2. રુદ્રાક્ષ - 1, મુંજકા 3. આર. કે. ક્રિકેટ ગ્રાઉન્ડ, વાગુદડ4. ઝાલાવાડ ગ્રાઉન્ડ, ગૌરીદડ5. ગ્રીનફિલ્ડ, જામનગર રોડ6. રુદ્રાક્ષ - 2, અટલ સરોવર7. ગ્રીન ફાર્મ, આજીડેમ ચોકડી8. અનિલ પેવેલિયન, લીમડા ચોક9. રતનપર ગ્રાઉન્ડ, રતનપર વેસ્ટ ઝોનમાં સૌથી વધુ 154 યુનિવર્સિટીની ટીમ ભાગ લઈ રહી છેજે બાદ ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી ઓલ ઇન્ડિયા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઈન્ડિયાના 4 ઝોનની બેસ્ટ 4 એમ કુલ 16 ટીમ સામસામે ટકરાશે. ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોન અને ઓલ ઇન્ડિયા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવું તે ખૂબ જ કઠિન હોય છે. જોકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ આયોજન ખૂબ જ સારી રીતે કરવામાં આવશે. આ વખતે વેસ્ટ ઝોનમાં સૌથી વધુ 154 યુનિવર્સિટીની ટીમ ભાગ લઈ રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ સિલ્વર મેડલ લાવી હતીઆ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ ખૂબ જ સારું પ્રદર્શન કરે તેવી આશા છે કારણકે બે વર્ષ પહેલા વેસ્ટ ઝોનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ સિલ્વર મેડલ લાવી હતી અને ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થયા હતા. જેમાનો એક ખેલાડી એટલે રામદેવ આચાર્ય છે. જે વર્લ્ડ યુનિવર્સિટીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ રોશન કરી ચૂક્યો છે. જેથી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેપ્ટન આદિત્ય રાઠોડ અને વાઇસ કેપ્ટન રામદેવ આચાર્ય પાસે ખૂબ જ અપેક્ષા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ આ ટુર્નામેન્ટમાં મેડલ લાવે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ
દેશભરમાં સ્વચ્છતા માટે પ્રથમ ક્રમ હાંસલ કરનાર સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના મજુરા વિસ્તારમાં આવેલા સાર્વજનિક યુરિનલ બ્લોકની હાલત અત્યંત દયનીય જોવા મળી રહી છે, જેના કારણે પાલિકાના 'નંબર વન' હોવાના દાવા સામે સવાલો ઉઠી રહ્યા છે. ગંદકીથી ખદબદતા યુરિનલ બ્લોક મજુરા ફાયર સ્ટેશનની બિલકુલ બાજુમાં આવેલા યુરિનલ બ્લોકમાં લાંબા સમયથી સફાઈના અભાવે ગંદકીનું સામ્રાજ્ય જામ્યું છે. આ યુરિનલ બ્લોકની હાલત એવી છે કે, જેન્ટ્સ અને લેડીસ બંને વિભાગમાં અસહ્ય ગંદકી હોવાથી અંદર પ્રવેશવું પણ મુશ્કેલ બન્યું છે. અંદર જઈ શકાય તેવી સ્થિતિ ન હોવાથી નાગરિકો યુરિનલની બહાર જ શૌચ કરવા મજબૂર બન્યા છે, જે જાહેર આરોગ્ય માટે પણ મોટો ખતરો છે. ફાયર સ્ટેશન જેવા મહત્વના સ્થળની નજીક હોવા છતાં, તંત્ર દ્વારા લાંબા સમયથી અહીં સફાઈ કરવામાં આવી નથી. જાગૃત નાગરિકે વીડિયો બનાવી તંત્રને આડે હાથ લીધું આ અસુવિધા અને ગંદકીને જોઈને એક જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે સ્વચ્છતાના મોટા મોટા એવોર્ડ મેળવનાર સુરત મહાનગરપાલિકા ગ્રાઉન્ડ લેવલ પર કેટલી નિષ્ફળ સાબિત થઈ રહી છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતા જ લોકો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે. સત્વરે સફાઈની માંગ સ્થાનિકો અને જાગૃત નાગરિકો દ્વારા માગણી કરવામાં આવી છે કે આ યુરિનલ બ્લોકની તાત્કાલિક સફાઈ કરવામાં આવે અને ભવિષ્યમાં તેની જાળવણી માટે કડક વ્યવસ્થા ઊભી કરવામાં આવે. જો 'નંબર વન' સુરતને ખરેખર સ્વચ્છ રાખવું હોય, તો માત્ર કાગળ પર નહીં પણ રસ્તાઓ અને સાર્વજનિક શૌચાલયોમાં પણ સ્વચ્છતા દેખાવી જોઈએ.
ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે 27 જાન્યુઆરીના રોજ પ. પૂ. આચાર્ય ભગવંત વિજયશ્રી રાજહંસસૂરિ મહારાજે પધરામણી કરી હતી. તેમણે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના કાર્યાલયની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે આચાર્ય ભગવંતે શહેર અધ્યક્ષ કુણાલભાઈ કે. શાહ (કુમારભાઈ શાહ) ને આશીર્વચન પાઠવ્યા હતા.આ ઉપરાંત, મેયર ભરતભાઈ બારડ, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, શિક્ષણ સમિતિના સદસ્યો તેમજ પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને પણ તેમણે આશીર્વાદ આપ્યા હતા.
મોરબીમાં ફ્લેટ વેચાણના નામે છેતરપિંડી:આરોપીએ મેળવેલા રૂપિયા મોજશોખ, હપ્તા ભરવામાં વાપર્યા, જેલ હવાલે
મોરબીમાં ફ્લેટ વેચાણના નામે વૃદ્ધ સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ તેને જેલ હવાલે કર્યો છે. આરોપીએ ફરિયાદી પાસેથી મેળવેલા રૂપિયા મોજશોખ અને હપ્તા ભરવામાં વાપરી નાખ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ અંગે મોરબીના સુનિલકુમાર કુમુદચંદ્ર દોશી (ઉંમર 68) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પાર્થભાઈ મુકેશભાઈ મહેતા, મુકેશભાઈ અંબાપ્રસાદ મહેતા અને હીનાબેન મુકેશભાઈ મહેતા (રહે. આશુતોષ હાઈટ્સ, બ્લોક નં. 101, કાયાજી પ્લોટ, સનાળા રોડ, મોરબી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, પાર્થભાઈ મહેતાએ પોતાના મોબાઈલ ફોન પરથી OLX માં ફ્લેટ વેચવા માટેની જાહેરાત મૂકી હતી. ફરિયાદી અને સાહેદો ફ્લેટ જોવા ગયા ત્યારે આરોપીઓએ તેમને વિશ્વાસમાં લીધા હતા. હીનાબેન મહેતાના નામના ફ્લેટ પર બેંકમાં મોટી લોન લીધેલી હોવા છતાં આ માહિતી છુપાવવામાં આવી હતી. આરોપીઓએ ફરિયાદીને ફ્લેટ વેચાણનો ખોટો સાટાખત કરી આપ્યો હતો અને તેના બદલામાં મોટી રકમ મેળવી લીધી હતી. આરોપીઓએ અગાઉથી કાવતરું રચીને વૃદ્ધ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. પોલીસે વૃદ્ધની ફરિયાદના આધારે દંપતી અને તેના દીકરા સામે ગુનો નોંધી પાર્થભાઈ મુકેશભાઈ મહેતાની ધરપકડ કરી હતી. કોર્ટમાં રજૂ કરીને પોલીસે ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂરા થતાં આરોપીને ફરી કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે. તપાસ અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ, આરોપીએ વિશ્વાસઘાત કરીને મેળવેલા રૂપિયા હરવા-ફરવામાં અને ફ્લેટના હપ્તા ભરવામાં વાપરી નાખ્યા હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું.
રાજકોટના ભગવતીપરા મેઇન રોડ પર આવેલા અયોધ્યા પાર્ક શેરી નં.2માં રહેતો અને મહાનગરપાલિકામાં સફાઇ કામદાર તરીકે નોકરી કરતો સુનિલ લાખાભાઇ રાઠોડ (ઉ.વ.45) નામનો યુવાન આજે સવારે 8 વાગે કોઠારીયા રોડ પર નંદાહોલ પાસે સફાઇ કામદાર તરીકેની પોતાની ફરજ પર હતો ત્યારે અચાનક બેભાન થઇ ઢળી પડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી પ્રાથમિક તારણમાં હાર્ટએટેક આવતા મોત થયાનું જાહેર કર્યુ હતું. આ અંગે ભક્તિનગર પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થ ખસેડી મોતનું ચોક્કસ કારણ જાણવા જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ચાર ભાઇ એક બહેનમાં નાનો અને વોર્ડ નંબર 16માં સફાઇ કામદાર તરીકે નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. તેને સંતાનમાં બે પુત્ર હતા તેને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. હરીપર પાળ ગામમાં ગોડાઉનમાંથી રૂ.1.75 લાખના સામાનની ચોરીરાજકોટમાં રહેતાં રવિભાઈ પરશોતમભાઇ રાદડીયા (ઉ.વ.35)એ અજાણ્યા શખસો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ રોયલ કન્સ્ટ્રક્શન નામે ધંધો કરે છે. હાલ તેઓની સાઇટ માધાપર ચોકડી અને સાધુ વાસવાણી રોડ ઉપર ચાલુ છે. બાંધકામનો સામાન રાખવા માટેનું ગોડાઉન હરીપર પાળ સર્વે નં.32, પ્લોટ નં.1, જુના બંગડીના કારખાના પાસે આવેલું છે. ગઇ તા.21.01.2026ના સાંજના 6 વાગ્યે તેઓ ગોડાઉને ગયા હતા ત્યારબાદ તા.24.01.2026ના સાધુવાસવાણી રોડ પર સાઇટ ખાતે ટેકાની જરૂર હોય જેથી ગોડાઉને ટેકાના માપ લેવા માટે ગયા હતા જ્યાં તાળાને ખોલવાનો પ્રયાસ કરતા તાળુ ખુલતું ન હતું જેથી કોઇએ બીજુ તાળુ મારી દીધું હોવાનું જાણવા મળ્યું હતું. ગોડાઉન ચેક કરતા અંદરની સાઈડ પતરાનો દરવાજો કપાયેલો હતો જેથી અંદર જઇ જોતા તેમાં રાખેલ બાંધકામનો સામાન લીફ્ટના કોલમ, સેફ્ટી નેટના પાઇપ સહિતનો લગભગ રૂ.1.75 લાખનો સમાન ચોરી થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે ફરીયાદ પરથી મેટોડા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ રાજકોટ શહેર SOG પોલીસ ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, કેનાલ રોડ પર નવા કુંભારવાડા શેરી નંબર 12/9ના ખૂણે જાહેરમાં એક શખ્સ ઉભો છે જેમની પાસે ગાંજાનો જથ્થો છે જેથી સ્થળ પર પહોંચી પોલીસે તલાસી લેતા તેની પાસેથી કુલ 2.077 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી તેનું નામ પૂછતાં પોતે પોતાનું નામ સૂરજ રાય (ઉ.વ.26) હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં આરોપી મૂળ પશ્ચિમ બંગાળનો વતની હોવાનું અને રાજકોટમાં મજૂરીકામ કરતો હોવાનું સામે આવ્યું છે પોલીસે આરોપી પાસેથ ગાંજો સહીત કુલ 1.14 લાખનો મુદામાલ કબ્જે કરી ગાંજાનો જથ્થો ક્યાંથી લાવી કોને વેચવાનો હતો ત દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. NDPS કેસમાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ રાજકોટ શહેર SOG પોલીસ ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ NDPS કેસમાં સંકળાયેલ આરોપી અસલમ ભીખુ સમા (ઉ.વ.32) ભીસ્તીવાડ વિસ્તારમાં હોવાથી સ્થળ પર પહોંચી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. થોડા મહિના અગાઉ SOG દ્વારા આરોપી શાહરુખ ને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો જેની પુછપરછમાં શાહરૂખને ગાંજો આરોપી અસલમએ આપ્યો હોવાનું સામે આવતા આજ રોજ આરોપી અસલમને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી વિરુધ્ધ અગાઉ મારામારી તેમજ જાનથી મારી નાખવા ધમકી સહીત કલમ હેઠળ અલગ અલગ બે ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. આરોપી NDPSનો મુદામાલ ક્યાંથી લાવ્યો હતો તેમજ પોતે અન્ય કોઈને વેચતો હતો કે કેમ સહિતની દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગોધરા નગરપાલિકાના ઉપપ્રમુખ સુનિલ લાલવાણી સહિત નવ આરોપીઓને મારામારીના કેસમાં નીચલી કોર્ટે ફટકારેલી ચાર વર્ષની સજાને ગોધરા સેશન્સ કોર્ટે યથાવત રાખી છે. આ ચુકાદા બાદ તમામ આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા છે. આ કેસમાં ગોધરાની એડિશનલ જ્યુડિશિયલ કોર્ટે વર્ષ 2024માં નવ આરોપીઓને ચાર વર્ષની સજા સંભળાવી હતી. નીચલી કોર્ટના આ ચુકાદાને આરોપીઓએ સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. સેશન્સ કોર્ટના ચુકાદા બાદ તમામ નવ આરોપીઓને રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. આ ઘટના વર્ષ 2014ની છે, જ્યારે ટ્રાવેલ્સના ધંધાની અદાવતમાં ગોધરામાં આવેલી શંકર લોજના માલિકને માર મારી ધમકી આપવા બદલ ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ ગોધરા નગરપાલિકાના ઉપપ્રમુખ સુનિલ લાલવાણી, ભાજપના વ્યવસાય સેલના સંયોજક અને માજી કાઉન્સિલર સહિત નવ વ્યક્તિઓ વિરુદ્ધ કરવામાં આવી હતી. સજા પામેલા આરોપીઓમાં સુનિલ લાલવાણી, અશોક લાલવાણી, સુરેશ દેરાઈ, જીતુ લાલવાણી, અનિલ લાલવાણી, ભાવેશ ઉર્ફે ભલો ફૂટવાણી, ચમન કલવાણી, મનીષ ઉર્ફે મનો લાલવાણી અને મનોજ ગોવરાણીનો સમાવેશ થાય છે.
બોટાદ જિલ્લા ભાજપની નવી ટીમ જાહેર:21 હોદ્દેદારોની નિમણૂક, પ્રમુખ મયુર પટેલે કરી જાહેરાત
બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની નવી સંગઠનાત્મક ટીમની આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. નવી ટીમમાં કુલ 21 હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી, 8 મંત્રી ઉપરાંત કોષાધ્યક્ષ અને કાર્યાલય મંત્રીનો સમાવેશ થાય છે. મહામંત્રી તરીકે દીપકભાઈ સાબવા, વનરાજસિંહ ડાભી અને વિજયભાઈ ધલવાણીયાની વરણી કરવામાં આવી છે. જ્યારે ૮ ઉપપ્રમુખો ની કરાઈ જાહેરાત. આ સાથે જ યુવા મોરચા, મહિલા મોરચા, અનુસૂચિત જાતિ મોરચા, લઘુમતી મોરચા, બક્ષીપંચ મોરચા, કિસાન મોરચા તેમજ સોશિયલ મીડિયા વિભાગના પ્રમુખો અને મહામંત્રીઓની પણ નિમણૂક કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ગત ટર્મના 2 મંત્રીઓને ઉપપ્રમુખનું સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે બાકીની આખી ટીમ નવા ચહેરાઓ સાથે રચના કરાઈ છે. આ નવી ટીમ દ્વારા ભાજપ દ્વારા જિલ્લામાં સંગઠનને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે.
મહીસાગરના વિરપુરમાં ડેભારી રોડ પર બે બાઇક અથડાયા:બારોડા ગામ નજીક અકસ્માતમાં બે યુવકોના ઘટનાસ્થળે મોત
મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં એક માર્ગ અકસ્માત સર્જાયો છે. વીરપુર-ડેભારી માર્ગ પર સુજલામ સુફલામ કેનાલ નજીક બારોડા ગામ પાસે બે બાઇક સામસામે અથડાયા હતા. આ દુર્ઘટનામાં બંને બાઇક સવારના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને બાઇકના સ્પેરપાર્ટ રોડ ઉપર વેરવિખેર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. વીરપુર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે અને બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી શરૂ કરી છે. આ ઉપરાંત, મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા પણ પોલીસ દ્વારા ચાલી રહી છે.
અમદાવાદના કોતરપુર વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઇનમાં જોડાણની કામગીરી કરવાની હોવાથી કોતરપુર વોટર વર્કસમાંથી મધ્ય ઝોન વિસ્તારમાં પાણી પૂરું પાડવામાં આવશે નહીં. શહેરના શાહપુર, દરિયાપુર, માધુપુરા, શાહીબાગ, દુધેશ્વર, જમાલપુર, ખાડિયા, રાયખડ, અસારવા, લાલદરવાજા વિસ્તારમાં 30 જાન્યુઆરીના રોજ સાંજે પાણી આવશે નહીં. 31 જાન્યુઆરીના રોજ સવારે અને સાંજે ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી આપવામાં આવશે. લાઈન જોડાણની કામગીરીના કારણે પાણી કાપદૂધેશ્વર વોટર વર્કસ -1માં નવા બનાવવમાં આવેલા 20 MLD અન્ડરગ્રાઉન્ડ સમ્પની 700મી.મી. વ્યાસની ફીડર લાઈનું 1600 મી.મી. વ્યાસ કોતરપુર મેઈન ટૂંક લાઈનમાં જોડાણ કરવાની અને નવા બનાવાયેલા 20 MLD પંપહાઉસમાંથી નીકળતી 640પી મી.મી. વ્યાસની મેઈન હેડર લાઈનનું બુસ્ટર પંપ નં.- 3 પાસે આવેલી હયાત 1200 મી.મી. વ્યાસની પાઈપલાઈ સાથે જેડાણ કરવાની કામગીરી તેમજ નવી પૂરી થયેલી કોતરપુર 20 MI.D ટાંકીનું હયાત ભૂગર્ભ ટાંકી સાથે ઈનટ્ કનેક્શનની કામગીરી થશે. 30 જાન્યુઆરીના રોજ કોતરપુર વેસ્ટર્ન ટ્રંક મેઈનલાઇનમાં શટડાઉન કરવાની થતી હોવાથી મધ્ય ઝોનના તમામ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં સાંજનો પાણીનો સપ્લાય બંધ રાખવામાં આવશે
સુરત શહેરના દક્ષિણ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે સુરત મહાનગરપાલિકાએ વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સુરત-નવસારી રોડ પર ઉધનાના ખરવરનગર બ્રિજ ઉતરતાની સાથે જ હવે વધુ એક નવો ફ્લાયઓવર બ્રિજ બનાવવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. ઉધના ત્રણ રસ્તા જંકશનથી સર્વોત્તમ હોટલ જંકશન સુધી બનનારા આ બ્રિજ પાછળ અંદાજે 72.48 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ત્રણ વર્ષ બાદ આયોજનને લીલી ઝંડી મળી નોંધનીય છે કે આ પ્રોજેક્ટ માટે વર્ષ 2022-23થી આયોજન ચાલી રહ્યું હતું. જોકે, શરૂઆતમાં BRTS રૂટ અને અન્ય ટેકનિકલ કારણોસર ફિઝિબિલિટી રિપોર્ટ પોઝિટિવ આવ્યો ન હતો, જેને કારણે કામ અટકી પડ્યું હતું. સમય જતાં પ્રોજેક્ટના ખર્ચમાં પણ વધારો થયો છે, જે પહેલાં ઓછો અંદાજવામાં આવ્યો હતો તે હવે વધીને 72 કરોડને પાર પહોંચ્યો છે. તાજેતરમાં બ્રિજ સેલ દ્વારા કરાયેલા નવા સર્વેમાં રિપોર્ટ પોઝિટિવ આવતા અને રાજ્ય સરકાર તરફથી ખાસ ગ્રાન્ટની મંજૂરી મળતા હવે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બે મુખ્ય જંકશનો પર ટ્રાફિકથી રાહત મળશે ખરવરનગર બ્રિજ ઉતર્યા બાદ વાહનચાલકોને ઉધના ત્રણ રસ્તા અને સર્વોત્તમ હોટલ પાસે ભારે ટ્રાફિકનો સામનો કરવો પડતો હતો. આ 1 કિલોમીટરના અંતરમાં બે મોટા જંકશન હોવાથી પીક અવર્સમાં વાહનોની લાંબી કતારો લાગતી હતી. નવો બ્રિજ બનવાથી ઉધના ત્રણ રસ્તા જંકશન અને સર્વોત્તમ હોટલ જંકશન પર હવે ઊભા રહેવું નહીં પડે.ખરવરનગર બ્રિજ ઉતરીને વાહનો સીધા જ આ નવા ફ્લાયઓવર પર ચઢી શકશે અને ડિંડોલી તરફ જનારા વાહનચાલકોની સુવિધા માટે ખાસ એપ્રોચ રોડ પણ બનાવવામાં આવશે, જેથી તે વિસ્તારની કનેક્ટિવિટી વધુ સરળ બનશે. ઔદ્યોગિક અને શૈક્ષણિક વિસ્તાર માટે આશીર્વાદરૂપઆ વિસ્તારમાં રેલવે યાર્ડ, અનેક શાળાઓ અને મોટો ઔદ્યોગિક વિસ્તાર આવેલો હોવાથી રોજના હજારો વાહનો અહીંથી પસાર થાય છે. સુરતથી નવસારી અને સચિન તરફ જતો આ મુખ્ય માર્ગ હોવાથી અહીં હેવી ટ્રાફિકનું પ્રમાણ ખૂબ વધારે રહે છે. આ બ્રિજ સાકાર થવાથી સમય અને ઈંધણ બંનેની બચત થશે. લાખો લોકોને સીધો ફાયદો થશેઆ પ્રોજેક્ટનું નિર્માણ EPC (Design, Engineering, Procurement and Construction) ધોરણે કરવામાં આવશે. આનો અર્થ એ છે કે બ્રિજની ડિઝાઇન તૈયાર કરવાથી લઈને તેના નિર્માણ સુધીની તમામ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે. મહાપાલિકાના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટથી ઉધના અને ડિંડોલી વિસ્તારના લાખો લોકોને સીધો ફાયદો થવાની આશા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે જૂનાગઢના મહેમાન પધારશે.જેને લઈ મુખ્યમંત્રીના પ્રવાસને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.જુનાગઢ ખાતે મુખ્યમંત્રી બપોરે 4 કલાકે પીટીસી હેલીપેડ ખાતે ઉતરાણ કરશે, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ તેઓ સીધા નરસિંહ મહેતા સરોવર ખાતે પહોંચશે, જ્યાં શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરશે.મુખ્યમંત્રી પોતે આ નવનિર્મિત સરોવરનું નિરીક્ષણ કરશે અને તેને જનતા માટે વિધિવત ખુલ્લું મૂકશે.તેઓ મનપાના નવા ફાયર ફાઈટર વાહનોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે. ત્યારબાદ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે મુખ્ય જાહેર કાર્યક્રમ યોજાશે, જેમાં શહેર અને જિલ્લાના 215.65 કરોડના 26 કામોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. નરસિંહ મહેતા સરોવરનું રૂ. 68 કરોડના ખર્ચે બ્યુટીફિકેશન જૂનાગઢવાસીઓ જેની છેલ્લા ઘણા સમયથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, તે નરસિંહ મહેતા સરોવર હવે નવા રંગરૂપમાં સજ્જ થઈ ગયું છે. અંદાજે રૂ. 68 કરોડથી વધુના ખર્ચે આ સરોવરનું બ્યુટીફિકેશન અને નવીનીકરણ કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી આ સરોવરનું કામ ચાલતું હતું, જેના કારણે શહેરના મધ્યમાં આવેલું આ ફરવાલાયક સ્થળ લોકો માટે બંધ હતું. સરોવરની પાળ પર વોકિંગ ટ્રેક, આકર્ષક લાઈટિંગ, બેઠક વ્યવસ્થા અને મ્યુઝિકલ ફાઉન્ટેન જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે. મુખ્યમંત્રી પોતે આ નવનિર્મિત સરોવરનું નિરીક્ષણ કરશે અને તેને જનતા માટે વિધિવત ખુલ્લું મૂકશે. તળાવમાં અદ્યતન સુવિધાઓ અને સુરક્ષાનો સમન્વય સરોવરને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે તેમાં અનેક સુવિધાઓ ઉમેરાઈ છે. જેમાં સરોવરની ચારેબાજુ વોકિંગ વે બનાવવામાં આવ્યો છે.સાંસ્કૃતિક કાર્યક્રમો માટે 400 લોકોની ક્ષમતા ધરાવતું એમ્ફીથિયેટર તૈયાર કરાયું છે.સરોવરમાં બે આઈલેન્ડ અને સાત જેટલા વ્યુઈંગ ડેક્સ બનાવવામાં આવ્યા છે, જ્યાંથી સરોવરનો નજારો માણી શકાશે.સમગ્ર સંકુલમાં CCTV કેમેરા, પબિ્લક એડ્રેસ (PA) સિસ્ટમ અને ઈમરજન્સી માટે પેનિક બટનની સુવિધા પણ આપવામાં આવી છે. શરૂઆતમાં એન્ટ્રી ફ્રી, મેન્ટેનન્સ માટે ભવિષ્યમાં ફી વસૂલાશે મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે અત્યારે હાલમાં લોકો માટે સરોવર નિઃશુલ્ક ખુલ્લું મૂકવામાં આવશે. જોકે, આ પ્રોજેક્ટ ઘણો મોટો હોવાથી તેના મેન્ટેનન્સ માટે ભવિષ્યમાં 0M (ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ) એજન્સીની નિમણૂક કરવામાં આવશે. તે સમયે મેન્ટેનન્સના ખર્ચને પહોંચી વળવા માટે ચોક્કસ એન્ટ્રી ફી નક્કી કરવામાં આવશે, પરંતુ ત્યાં સુધી તેનું સંચાલન મનપા દ્વારા જ કરવામાં આવશે. શહેર અને જિલ્લાને રૂ. 215 કરોડની વિકાસ ભેટ આ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી જૂનાગઢ શહેર અને જિલ્લાના કુલ રૂ. 215.65 કરોડના વિકાસ કાર્યોનું ભાથું પીરસશે. જેમાં મુખ્યત્વે મહાનગરપાલિકા વિસ્તારમાં રસ્તાના કામો, ગટર લાઇન, પાણી પુરવઠાના પ્રોજેક્ટ્સ અને અન્ય જનસુખાકારીના કામોનો સમાવેશ થાય છે. જિલ્લા કક્ષાએ પણ વિવિધ તાલુકાઓમાં શિક્ષણ અને આરોગ્યને લગતા નવનિર્મિત ભવનોનું લોકાર્પણ કરવામાં આવશે. આટલી મોટી રકમના વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણથી જૂનાગઢની આંતરમાળખાકીય સુવિધાઓમાં મોટો વધારો થશે તેવી અપેક્ષા છે. ફાયર સેફટી અને આપત્તિ વ્યવસ્થાપન પર ભાર જૂનાગઢ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ક્ષમતા વધારવા માટે નવા આધુનિક ફાયર સેફટી વાહનો ખરીદવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના હસ્તે આ વાહનોનું લોકાર્પણ થવાથી શહેરમાં આગ કે અન્ય હોનારત સમયે તંત્ર વધુ ઝડપથી કામ કરી શકશે. ગિરનારની તળેટીમાં વસેલા આ ઐતિહાસિક શહેરમાં સાંકડી ગલીઓ અને ગીચ વસ્તીને ધ્યાનમાં રાખીને આ નવીન સાધન-સામગ્રી જૂનાગઢ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ઐતિહાસિક નરસિંહ મહેતા તળાવનું મહત્વ અને વિશેષતાઓ જૂનાગઢનું નરસિંહ મહેતા તળાવ માત્ર એક જળાશય નથી પરંતુ શહેરની ઓળખ છે. બ્યુટીફિકેશન પ્રોજેક્ટ હેઠળ અહીં શહીદ સ્મારકને પણ ભવ્ય રૂપ આપવામાં આવ્યું છે. તળાવના ઊંડાણ અને તેની સંગ્રહક્ષમતા વધારવાની સાથે સાથે પર્યટનની દૃષ્ટિએ પણ તેને વિકસાવવામાં આવ્યું છે. અહીં આવનારા પ્રવાસીઓ માટે ફૂડ કોર્ટ અને પાર્કિંગની પણ વ્યવસ્થા ઉભી કરાઈ છે. લાંબા સમયથી બંધ રહેલા આ સ્થળના કારણે સ્થાનિક વેપારીઓ પણ આતુર હતા, હવે આ લોકાર્પણથી અહીં પર્યટન અને રોજગારીમાં પણ વધારો થશે. કૃષિ યુનિવર્સિટી ખાતે જંગી જાહેર સભાનું આયોજન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાનાર મુખ્ય કાર્યક્રમમાં જિલ્લાના ધારાસભ્યો, મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ અને જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. કલેક્ટર અનિલ રાણાવસિયા અને મ્યુનિસિપલ કમિશનર સહિતના વહીવટી અધિકારીઓ દ્વારા કાર્યક્રમની વ્યવસ્થા સંભાળવામાં આવી રહી છે. સભાના અંતે મુખ્યમંત્રી સાસણ જવા રવાના થશે, જ્યાં તેઓ વન વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી શકે છે અથવા ગીરમાં રાત્રિ રોકાણ કરી શકે છે. જનતામાં ઉત્સાહ અને પ્રશાસનની સજ્જતા મુખ્યમંત્રીના આગમનને પગલે જૂનાગઢ શહેરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. ખાસ કરીને નરસિંહ મહેતા સરોવર વિસ્તારમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા સલામતી અને ટ્રાફિક વ્યવસ્થા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ગોધરામાં ખનીજ માફિયાઓ જપ્ત ટ્રકો લઈ ફરાર:પોલીસે ગણતરીના કલાકોમાં ટ્રકો સાથે ઝડપી પાડ્યા
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કાકણપુર વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન સામે ખાણ ખનીજ વિભાગે ગઈકાલે કાર્યવાહી કરી હતી. આ દરમિયાન સ્થળ પરથી બે ટ્રકો જપ્ત કરવામાં આવી હતી. જોકે, કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે ખનીજ માફિયાઓ ખાણ ખનીજ વિભાગની ટીમની નજર ચૂકવીને જપ્ત કરાયેલા બંને ટ્રકો લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને ગંભીરતાથી લઈ ભૂસ્તર શાસ્ત્રી નીરજ ગામિતીએ તાત્કાલિક કાકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતા જ કાકણપુર પોલીસ સક્રિય બની હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ કાર્યવાહી કરી ખનીજ માફિયાઓના કબજામાંથી બંને ટ્રકો છોડાવી લીધા હતા. આ ટ્રકો ફરીથી ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવ્યા છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગ્રીન બોન્ડ બહાર પાડ્યા બાદ હવે બ્લ્યુ બોન્ડ જાહેર કરવાની તૈયારીઓ તેજ થઈ છે. આ બ્લ્યુ બોન્ડ દ્વારા પાણી સંબંધિત કામો (વોટર વર્ક્સ) માટે ભંડોળ ઊભું કરવામાં આવશે. આ બોન્ડ દ્વારા પાણી પુરવઠા, ડ્રેનેજ, સ્વચ્છતા અને સંબંધિત પર્યાવરણીય પ્રોજેક્ટ્સને ભંડોળ પૂરું પાડવામાં આવશે. બ્લ્યુ બોન્ડ બહાર પાડવા માટેની તૈયારીઓ શરૂપાલિકા તંત્ર દ્વારા આગામી 4 મહિનામાં બ્લ્યુ બોન્ડ બહાર પાડવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગત વર્ષે ગ્રીન બોન્ડ બહાર પાડવાની સફળ કામગીરી બાદ હવે બ્લ્યુ બોન્ડ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ બ્લ્યુ બોન્ડ દ્વારા લગભગ 200 કરોડ રૂપિયાની આવક ઊભી કરવાનું પાલિકાનું લક્ષ્ય છે. આ રકમનો ઉપયોગ મુખ્યત્વે પાણી વ્યવસ્થાપન અને સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે કરવામાં આવશે. 'બ્લુ બોન્ડ એટલે એક પ્રકારની લોન છે'વડોદરા મહાનગર પાલિકાના ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારીએ જણાવ્યું હતું કે, બ્લુ બોન્ડ એટલે એક પ્રકારની લોન છે. વિકાસના કામો માટે કેન્દ્ર પ્રાયોજિત યોજનાઓ જેવી કે અમૃત, સ્માર્ટ સિટી, સ્વચ્છ ભારત મિશન માટે મહાનગરપાલિકાએ ફાળો આપવાનો હોય છે. જેના ભાગ રૂપે અમે બોન્ડ બહાર પાડીને ઉઘરાવીશું. 'બ્લુ બોન્ડ એ ગ્રીન બોન્ડનો જ એક ભાગ છે'વધુમાં કહ્યું કે, બેઝિકલી બ્લુ બોન્ડ એ ગ્રીન બોન્ડનો જ એક ભાગ છે. એટલે પર્યાવરણમાં જેમાંથી સુધારો થતો હોય એને ગ્રીન કેટેગરીમાં રાખવામાં આવે છે અને એમાં વધારે કોમ્પ્લાયન્સ અમારે કરવાનું રહેતું હોય છે. તો પાણી પુરવઠાના સુદ્રઢીકરણ માટેના અમૃતમાં જે પ્રોજેક્ટ છે, તેમાં અમારે જે ફાળો આપવાનો છે તેના માટે 200 કરોડ જેટલી રકમ અમે બોન્ડ થકી ઉઘરાવવાનું ગત બજેટમાં અમને મંજૂરી મળી છે. એની કાર્યવાહી આરંભી છે, હજુ ચારેક-પાંચ મહિના એમાં લાગશે. 'ગ્રીન બોન્ડ બે વાર બહાર પાડ્યા હતા'વધુમાં કહ્યું કે, ગ્રીન બોન્ડ આપણે બે વાર બહાર પાડ્યા હતા, જેમાં એક 100 કરોડનો માર્ચ-2022માં જે રેગ્યુલર બોન્ડ હતો અને માર્ચ-2024માં ગ્રીન બોન્ડ હતો. પહેલો બોન્ડ સિંધરોટ પાણી પુરવઠા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને લગતો હતો, જે પ્રોજેક્ટનું અમલીકરણ થઈ ગયું છે, તે ચાલુ પણ થઈ ગયો છે અને સાઉથ ઝોનના લોકોને પાણી પણ મળી રહ્યું છે. તે સિવાય જે ગ્રીન બોન્ડ બહાર પાડ્યા હતા તેમાં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP), APS અને ડ્રેનેજ નેટવર્કનું કામ છે, જે હાલ પ્રગતિ હેઠળ છે અને ટૂંક સમયમાં પૂરું થઈ જશે.
શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પાકા મકાનો આપવામાં આવે છે. જોકે, મકાનો ફાળવાયા પછી લાભાર્થીઓ અને કેટલાક લેભાગુ તત્વો દ્વારા મકાનો અન્ય લોકોને ભાડે આપી દેવામાં આવતા હોવાની તેમજ કેટલાક કિસ્સામાં ગેરકાયદે વસવાટ કરતા હોવાની ફરિયાદો સામે આવી છે. જેના પગલે આગામી દિવસોમાં 1,000થી વધારે મકાનો મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઉસિંગ એસ્ટેટ સેલ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવશે. 200 જેટલા મકાનો લાભાર્થીઓને ફાળવ્યા બાદ પણ ત્યાં રહેવા ન ગયા હોવાનું પણ સામે આવ્યું છે. 372 મકાન માલિકોને શો કોઝ નોટિસો ફટકારાઈમ્યુનિસિપલ કોર્પોરેશનની હાઉસિંગ કમિટીના ચેરમેન AMC દ્વારા સાતેય ઝોનમાં અત્યાર સુધીમાં 5629 મકાનોનું ચેકિંગ કરવામાં આવ્યું છે અને 372 મકાનોના માલિકોને શો કોઝ નોટિસો આપવામાં આવી છે અને 35 મકાનો સીલ કરાયા છે તેમજ 63 મકાનોના લાભાર્થીઓને અંતિમ નોટિસ ફટકારવામાં આવી છે. હાઉસિંગ એસ્ટેટ સેલ વિભાગ દ્વારા આવાસ યોજનાના મકાનોના ચેકિંગમાં 200 જેટલા મકાનો ફાળવાયા પછી તે મકાનોમાં લાભાથી રહેવા આવ્યા નથી. જેથી 200 વ્યક્તિઓને મકાનોની જરૂર ન હોવાનું માનીને લાભાર્થી પાસેથી મકાની કેમ પરત નહીં લેવા? તે અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે. AMCએ સાતેય ઝોનમાં ચેકિંગ દરમિયાન 4 મકાનો સીલ કર્યાAMC દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ફાળવવામાં આવેલા મકાનોમાં ચેકિંગ કરવામાં આવતાં મૂળ લાભાર્થી સિવાય અન્ય લોકો સ્ટુડન્ટ એમ્પોલઈઝ વસવાટ કરતા હોવાનું જોવા મળતાં 4 મકાનોને સીલ કરવામાં આવ્યા છે અને પંચનામું કરીને મૂળ લાભાર્થી દ્વારા આવાસ ફાળવણીની શરતોનો ભંગ કરાયો હોવાથી મકાનની ફાળવણી રદ કેમ ન કરવી તે અંગે ખુલાસો કરવા કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. કયાં કેટલી નોટિસ
અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં એક બાદ એક માર્ગ અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે. વટવા GIDC ફેઝ-1 તેમજ સિંગરવા વિસ્તારમાં બનેલા બે અલગ અલગ અકસ્માતોમાં કુલ બે વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે બે મહિલાઓને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. રીક્ષાએ ટુ-વ્હીલરને ટક્કર મારતાં એકનું મોતપહેલી ઘટનામાં, જશોદાનગરમાં રહેતા 40 વર્ષીય સોનલબેન પટેલ તેમના 43 વર્ષીય પતિ જીગ્નેશકુમાર પટેલ તથા તેમની સહેલી અનિશાબેન સાથે ગઈકાલે એટલે કે 26 જાન્યુઆરીએ ટુ-વ્હીલર પર વટવા નણંદના ઘરે જઈ રહ્યાં હતા. તે દરમિયાન વટવા GIDC ફેઝ-1 ખાતે કીરણ ઇન્ડસ્ટ્રીઝના દરવાજા નજીક એક લોડિંગ રીક્ષાએ બેદરકારીપૂર્વક વાહન ચલાવી ટુ-વ્હીલરને ટક્કર મારી હતી. અકસ્માતમાં સોનલબેન, જીગ્નેશકુમાર અને અનિશાબેન ત્રણેય રસ્તા પર પટકાઈ પડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ રીક્ષા ચાલક ઓવરસ્પીડમાં રીક્ષા લઈને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ તે પહેલાં જ જીગ્નેશકુમારને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે સોનલબેન અને અનિશાબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આઈ-ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સિંગરવામાં અજાણ્યા વાહનચાલકે ઓવરસ્પીડમાં ટક્કર મારતાં મોતબીજી ઘટનામાં, સિંગરવા વિસ્તારમાં રહેતા 70 વર્ષીય કોકીલાબેન ભરથરી, જે છૂટક મજૂરી કામ કરતા હતા, ગત 25 જાન્યુઆરીએ સાંજના સમયે સિંગરવા મહાદેવના મંદિર પાસે રોડ પર ઉભા હતા. તે સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે ઓવરસ્પીડમાં આવી તેમને ટક્કર મારી હતી. ટક્કરના જોરે કોકીલાબેન હવામાં ફંગોળાઈને રસ્તા પર પટકાઈ પડ્યા હતા અને ગંભીર ઈજાઓના કારણે ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં તેમના દીકરા દશરથ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આઈ-ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે તેમજ કોકીલાબેનના મૃતદેહને પીએમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં 9 મહિના પહેલા ઇન્દિરા સર્કલ પાસે સીટી બસના ચાલક દ્વારા ચાર લોકોને હડફેટે લેવામાં આવતા તેમના મૃત્યુ નીપજ્યા હતા જે ઘટનામાં ડ્રાઇવર દ્વારા બ્રેક ન લાગી હોવાનું રટણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ જ ઘટનાની સાક્ષી પુરાવતો ઈલેક્ટ્રીક સીટી બસનો વીડિયો વાયરલ થયો છે, જેમાં અટલ ડેપોની E 67 નંબરની બસમાં હેન્ડબ્રેક લગાવ્યા બાદ પણ બસ ઊભી રહેતી ન હોવાનું દેખાઈ રહ્યું છે. મનપાના અધિકારીએ વીડિયો જૂનો હોવાનું કહી બચાવ કર્યોઆ પ્રકારની ગંભીર ક્ષતિ બાદ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીને પૂછવામાં આવ્યું તો તેમને જૂનો વીડિયો હોવાનું કહીને વાત ઉડાવી દેવામાં આવી હતી પરંતુ જ્યારે આ બસના ડ્રાઇવર સાથે વાત કરવામાં આવી તો તેમને ખુલાસો કર્યો કે 27 જાન્યુઆરીનો જ આ વીડિયો છે. આ ડેપોની 100 જેટલી બસનું મેન્ટેનન્સ કરવામાં આવતું નથી. ડ્રાઇવરોને 8ને બદલે 16 કલાક કામ કરાવવામાં આવે છેહેન્ડ બ્રેક લાગતી નથી, આગ બુઝાવવા માટેનો સબમર્સીબલ પંપ બંધ છે. સેન્સર ખરાબ છે તેમજ ડ્રાઇવરોને 8ને બદલે 16 કલાક કામ કરાવવામાં આવે છે. ડેપો મેનેજર વિક્રમ ડાંગર ભાજપનો માણસ હોવાથી ગંભીર ક્ષતિઓ હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપો થયા છે. 'બસ હેન્ડ બ્રેક માર્યા બાદ પણ ઉભી રહેતી નથી'ડ્રાઈવર મહેન્દ્રભાઈ જલુએ જણાવ્યું હતું કે, અટલ ડેપોની E 67 નંબરની ઇલેક્ટ્રીક સિટી બસનો આજનો જ વિડિયો છે. જેમાં બસને હેન્ડબ્રેક મારવામાં આવી છે પરંતુ તેમ છતાં પણ બસ ચાલુ જ રહે છે. બસ ઊભી રાખવી હોય તો હેન્ડ બ્રેક મારી એટલે ઉભી રહી જાય પરંતુ આ બસ હેન્ડ બ્રેક માર્યા બાદ પણ ઉભી રહેતી નથી જેને લીધે ગંભીર અકસ્માત થવાની ભીતિ છે કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ જાળવવામાં આવતું નથી. ઘણા બધા સેન્સર પણ કામ કરતા નથી. જેથી કોઈપણ પ્રકારનો અકસ્માત થાય તો ડ્રાઇવરની જવાબદારી બને છે તો આમાં બસમાં ફોલ્ટ હોય તો ડ્રાઇવર શું કરે. 'આગ લાગે તો તેને બુઝાવવા માટેની કોઈ વ્યવસ્થા નથી'તેમણે જણાવ્યું કે, અહીં અટલ ડેપોમાં મેન્ટેનન્સનો સ્ટાફ નથી. આગ બુઝાવવા માટેનો સબમર્સીબલ પંપ પણ બંધ છે. જેથી આગ લાગે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે. અહીં 100 જેટલી બસો ડેપોમાં હોય છે પરંતુ આગ લાગે તો તેને બુઝાવવા માટેની કોઈ વ્યવસ્થા નથી.બેટરી અને સેન્સરની સમસ્યા છે. જેને લીધે કોઈ મુસાફરનો હાથ કે પગ ફસાઈ જવાની પણ દુર્ઘટના સર્જાઇ શકે છે. રાજકોટ રાજપથ લિમિટેડ હેઠળ આવતી સિટી બસની વિશ્વમ એજન્સી છે. અટલ સરોવરના ડેપો મેનેજર વિક્રમ ડાંગર છે જેની હેઠળ આ બધુ આવે છે. આમ છતાં પણ બસોનું યોગ્ય મેન્ટેનન્સ જાળવવામાં ન આવતા મુસાફરો અને ડ્રાઇવર માટે ગંભીર ખતરો છે. આ ઉપરાંત અહીં ડ્રાઇવરોને 8ને બદલે 16 કલાકની ડ્યુટી આપવામાં આવે છે. મનપાના અધિકારીએ વીડિયો જૂનો હોવાનું કહી બચાવ કર્યોજોકે આ બાબતે જ્યારે રાજકોટ મહાનગરપાલિકાની સીટી બસના મુખ્ય સંચાલક અધિકારી પરેશ અઢિયાએ જણાવ્યું હતું કે, આ ખૂબ જ જૂનો વીડિયો છે અને અમારા એન્જિનિયર સાથે વાત પણ કરી લીધી અને હેન્ડ બ્રેક મારીએ એટલે બસ ઉભી રહી જાય તે પ્રકારનો વીડિયો પણ એન્જિનિયર દ્વારા મોકલવામાં આવ્યું છે જેથી આ મામલામાં કંઈ છે નહીં. આ રીતે અધિકારીએ સમગ્ર મામલાને ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
વીજ કરંટ લાગતા MGVCLના વીજકર્મીનું મોત:મહીસાગરના વિરપુર તાલુકાના સાલૈયા પાસે બની ઘટના
મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના સાલૈયા ગામ નજીક વીજ લાઈનમાં મેન્ટેનન્સ કામગીરી દરમિયાન એક વીજકર્મીનું કરંટ લાગવાથી મોત થયું છે. આ ઘટના આજે બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, સાલૈયા ગામ નજીક વીજ લાઈનમાં મરામતનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન લાઈન પર કામ કરી રહેલા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ જે.કે. ડાભીને અચાનક વીજ કરંટ લાગ્યો હતો. તેમને ગંભીર ઈજાઓ થઈ હતી અને ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ એમજીવીસીએલ લુણાવાડા કચેરીના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે. હાલ આ સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
વલસાડના સુપ્રસિદ્ધ પારનેરા ડુંગરની તળેટીમાંથી ગતરોજ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલી અડધી ડી કમ્પોઝ થયેલી લાશની ઓળખ થઈ છે. પોલીસે મોબાઈલ ફોન અને પાકિટના આધારે કાર્યવાહી તેજ કરી છે. લાકડા વીણવા ગયેલા સ્થાનિક લોકોએ આ લાશ જોઈ હતી. તેમણે તાત્કાલિક મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, ગામના સરપંચ અને અગ્રણીઓને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલા અગ્રણીઓએ ઝાડની ડાળી સાથે દોરી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં લાશ જોઈ હતી. બનાવની જાણ થતાં વલસાડ રૂરલ પોલીસને જાણ કરાઈ હતી. રૂરલ PI એસ.એન. ગડ્ડું અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. પોલીસે લાશ પાસેથી એક મોબાઈલ ફોન અને એક પાકિટ જપ્ત કર્યા હતા. આજુબાજુના વિસ્તારમાંથી જરૂરી પુરાવાઓ એકત્રિત કરી FSL ટીમની મદદથી ફોરેન્સિક કાર્યવાહી અને પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરવામાં આવી હતી. મળેલા મોબાઈલના આધારે ઝીણવટભરી તપાસ કરતાં મૃતકની પત્નીનો સંપર્ક થયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતકની ઓળખ તુલાઈસિંગ તરીકે થઈ હોવાનું સામે આવ્યું છે. મૃતકની ગુમ થવાની નોંધ 6 જાન્યુઆરીએ વલસાડ સિટી પોલીસ મથકે કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. લાશ પાસેથી મળેલા ફોન અને પાકિટના આધારે પત્નીએ ઓળખ કરી હતી. વધુ પુષ્ટિ માટે વલસાડ રૂરલ પોલીસ દ્વારા DNA સેમ્પલના આધારે લાશની અંતિમ ઓળખ કરવાની કાર્યવાહી ચાલુ છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
માનવામાં જ ન આવે તેવા સમાચારે વિશ્વની રાજકીય ધરીને સ્થિર કરી દીધી છે. વાત એમ છે કે દુનિયાની સૌથી શક્તિશાળી સેના ચીનની છે. તેની જ ટોપ લીડરશિપને અમેરિકાએ ફોડી નાખી. ચીનની હથિયારોની ખરીદી, ન્યુક્લિયર પ્રોજેક્ટ જેવી ગુપ્ત માહિતીને અમેરિકાએ મેળવી લીધી. ઈન્ટલિજન્સીમાં અવ્વલ ચીન અંધારામાં રહ્યું ને અમેરિકા કળા કરી ગયું. અમેરિકાના જ અખબારે ધડાકો કર્યો છે કે ચીનમાં આર્મી અધિકારીઓને ફોડીને બળવો કરાવવાનું કાવતરું CIAએ લાંબા સમયથી ઘડે છે. આ વાતની ખબર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પડી ગઈ. આર્મીના ટોપ સાતમાંથી પાંચ લીડરની હકાલપટ્ટી કરી. આ પાંચમાં ચીનના રક્ષા મંત્રી પણ છે. ચીન માટે અને ખાસ તો દુનિયા માટે સૌથી મોટી વાત એ છે કે જિનપિંગે ચીનના નંબર ટુ અને સેનાના ટોચના ઓફિસર જનરલ ઝાંગ યુક્શિયાને પદ પરથી હટાવ્યા. બાય ધ વે, કોઈપણ મોટી વ્યક્તિને પદ પરથી હટાવવા તેના માટે અંગ્રેજીમાં એક શબ્દ છે- 'પર્જ'. આ ચીનમાં સૌથી વધારે વપરાતો શબ્દ છે. પર્જનો અર્થ એવો થાય કે અક્ષમ અને ભ્રષ્ટ અધિકારીઓની હકાલપટ્ટી કરીને જે-તે પદનું શુદ્ધિકરણ કરવું. દુનિયામાં એકલા ચીનમાં નહિ, ઘણી જગ્યાએ, ઘણી વખત પર્જ થયું છે. નમસ્કાર, પાકિસ્તાની સેનાના સર્વેસર્વા અસીમ મુનીર અમેરિકાના ખોળે બેસી ગયા છે. હવે તો ચીનની સેનાના સર્વેસર્વા પણ અમેરિકાના ખોળે બેસી ગયા, તે વિશ્વ માટે ખતરારૂપ બાબત છે. ચીનની સેનાના ટોચના અધિકારી જનરલ ઝાંગ યુક્શિયા અને શી જિનપિંગના પિતા મિત્રો હતા. આ બંને પણ 50 વર્ષથી એકબીજાના લંગોટિયા યાર હતા પણ મિત્રએ જ જિનપિંગ સાથે વિશ્વાસઘાત કર્યો. જિનપિંગને એ વાતનો આઘાત નહિ લાગે કે અમેરિકા પાસે સિક્રેટ વાત પહોંચી ગઈ, પણ એ વાતનો ચોક્કસ આઘાત લાગશે કે આવી કાળી કરતૂત કરનારો તેનો જ વિશ્વાસુ મોટા ભાઈ સમાન મિત્ર જ નીકળ્યો. વાત માત્ર માહિતી લિક કરવાની નથી. આખો ગેમ પ્લાન ચીનમાં તખ્તાપલટનો હતો. આ તખ્તાપલટનો પ્લાન અમેરિકી ગુપ્તચર એજન્સી CIA (સેન્ટ્રલ ઈન્ટવેસ્ટિગેશન એજન્સી)એ બનાવ્યો હતો. આ વાત અમેરિકાના જ અખબાર વોલ સ્ટ્રીટ જર્નલમાં છપાઈ છેપહેલા ચીની આર્મીનું માળખું જાણો જુઓ, ભારતમાં પાર્ટી મહત્વની નથી પણ સરકાર મહત્વની છે. ચીનમાં ઊલટું છે. ત્યાં સરકાર મહત્વની નથી, પાર્ટીનું કદ મોટું રહે છે. શી જિનપિંગ જે પાર્ટીના નેતા છે, તે પાર્ટીનું નામ છે- કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના. આ પાર્ટીના કદાવર નેતાઓ જ ચીનને ચલાવે છે. ચીનની આર્મી પણ પાર્ટી કહે તેમ કરે છે. આ પાર્ટીના ટોચના નેતાઓએ સાથે મળીને અલગ અલગ વિભાગ ચલાવે છે. તેમાં સાત નેતાઓ મળીને આર્મીનું ઓપરેશન ચલાવે છે. આ સાત વ્યક્તિની કમિટિ છે. જેને CMC એટલે સેન્ટ્રલ મિલિટરી કમિશન કહે છે. તેના ચેરમેન ખુદ શી જિનપિંગ છે. તેની નીચે બે વાઈસ ચેરમેન છે. તેમાંના એક વાઈસ ચેરમેન હતા યુક્શિયા. વાઈસ ચેરમેન હોવા ઉપરાંત આર્મીનું સંચાલન તેમના હાથમાં જ રહેતું. આર્મીના ટોપ સિક્રેટ, ન્યુક્લિયર પ્રોજેક્ટની માહિતી, હથિયારોની ખરીદી, મિલિટરીમાં અધિકારીઓની નિમણૂક આ બધું જ યુક્શિયાના શિરે હતું. તેની નીચે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને બીજા અધિકારીઓ આવે. ટૂંકમાં, ચીનની લાખો સૈનિકો ધરાવતી આર્મીનું સંચાલન ઝાંગ યુક્શિયાના હાથમાં હતું. ઝાંગ યુક્શિયા સામે ક્યા આરોપો મૂકાયા, ક્યારે મૂકાયા? સવાલ એ છે કે જિનપિંગના ખાસ દોસ્ત પર પરમાણું માહિતી લીક કરવાનો આરોપ કેવી રીતે લાગ્યો? 24 જાન્યુઆરીએ મોટા કોન્ફરન્સ રૂમમાં ચીની સેનાના મોટા ટોપ રેન્કના અધિકારીઓની હાઈલેવલ મિટિંગ થઈ. તેમાં પહેલીવાર આ આરોપ લગાવાયો. તેના થોડા કલાકો પછી ચીનના રક્ષા મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું. જેમાં જનરલ યુક્શિયા પર રાષ્ટ્રીય કાયદાનો ભંગ કરવાનો અને પાર્ટી અનુશાસન તોડવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ પહેલાં 19 જાન્યુઆરીએ શી જિનપિંગે નેશનલ ન્યુક્લિયર કોર્પોરેશનના જનરલ મેનેજર ગૂઉ જૂન વિરુદ્ધ તપાસ શરૂ કરાવી હતી. ગૂઉ જૂન સામેની તપાસમાં કેટલાક તથ્યો એવા સામે આવ્યા જેમાં ન્યુક્લિયર જાણકારી લીક કરવા પાછળ જનરલ યુક્શિયાનો હાથ હોવાના પુરાવા મળ્યા. આ જનરલ પર અમેરિકાને ન્યુક્લિયર માહિતી આપવા સિવાયના ત્રણ અન્ય આરોપો લગાવાયા છે. જિનપિંગ અને યુક્શિયા નાનપણના મિત્રો ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને તેના નંબર ટુ ગણાતા ઝાંગ યુક્શિયાના પારિવારિક સંબંધો છે. બંને નાનપણના મિત્રો છે. ચીનના એક જ ગામડાંના વતની છે. બંનેના પિતા પણ મિત્રો હતા. જિનપિંગ અને ઝાંગના પિતાઓએ માઓ ડાંગના 1949માં ચીનના ગૃહયુદ્ધમાં ભાગ લીધો હતો. એ પછી માઓની કોમ્યુનિસ્ટ પાર્ટીએ ચીનની સત્તા હાથમાં લીધી હતી. એ ગૃહયુદ્ધમાં જેના પિતાઓએ ભાગ લીધો હતો તેના સંતાનોને 'પ્રિન્સલિંગ્સ' એટલે રાજકુમાર કહેવાતા. એ નાતે જિનપિંગ અને યુક્શિયા બંને પ્રિન્સલિંગ્સ છે અને બંને સારા મિત્રો છે. જાણે જય વીરુની જોડી જ જોઈ લો! જિનપિંગ અને યુક્શિયાએ એકબીજાની મિત્રતા નિભાવવામાં કાંઈ બાકી નથી રાખ્યું. 2012થી ઝાંગ યુક્શિયા ચીનના CMCના વાઈસ ચેરમેનપદે છે. સતત 15 વર્ષથી કોઈ વ્યક્તિ આ પદ પર હોય એવું ચીનમાં બન્યું નથી. 70 વર્ષની ઉંમરે યુક્શિયા નિવૃત્ત થયા તે પછી પણ જિનપિંગે મિત્રતા નિભાવીને તેમને એક્સટેન્શન આપ્યું. જિનપિંગને ત્રીજીવાર રાષ્ટ્રપતિ બનાવવામાં ઝાંગનો મોટો ફાળો છે. પણ એકાએક CIAએ એવા તે ક્યા ચોકઠાં ગોઠવ્યાં કે બે મિત્રો વચ્ચે તિરાડ પાડવાનું શરૂ કર્યું ને વાત તખ્તાપલટ સુધી પહોંચી ગઈ. જિનપિંગ ગાંજ્યા જાય તેમ નથી. તેની સામે બળવો થવાની ગંધ આવી ગઈ ને તપાસનો ધમધમાટ શરૂ કરાવ્યો. વોલ સ્ટ્રીટ જર્નલે ભાંડો ફોડ્યો, ચીનનું મૌન ચીની મિલિટરીના ધૂરંધરોને કેમ હટાવાયા તેનું કોઈ સ્પષ્ટ કારણ સામે નથી આવ્યું. દરેક અખબારના અલગ અલગ રિપોર્ટ છે. પણ અમેરિકાના અખબાર વોલ સ્ટ્રીટ જર્નલનો રિપોર્ટ ચર્ચામાં છે. વોલ સ્ટ્રીટ જર્નલમાં જેણે લખ્યું છે તે લિંગલિંગ વેઈ અને ચૂન હાન વોંગ બંને વોલ સ્ટ્રીટ જર્નલના ચીન ખાતેના પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓ છે. તેમણે લખ્યું છે એટલે વાતમાં કાંઈક તો દમ હશે જ. સૌથી ખતરનાક વાત એ છે કે ટોપ મિલિટરી ઓફિસર અને જિનપિંગના વિશ્વાસુઓએ જ વાત લીક કરી દીધી. આ આખી ગેમ પાછળ અમેરિકાની ગુપ્તચર એજન્સી CIA (સેન્ટ્રલ ઈન્ટલિજન્સ એજન્સી)ની મહત્વની ભૂમિકા હોવાનું મનાય છે. CIA એટલે અમેરિકા જ ચીનમાં તખ્તાપલટ કરાવવા લાંબા સમયથી ઓપરેશન ચલાવતું હતું તેવો ઘટસ્ફોટ થયો છે. જોકે આ વાતની પુષ્ટિ થઈ નથી. જોકે અમેરિકાના જ અખબાર વોશિંગ્ટન પોસ્ટે એક લાઈનમાં લખ્યું છે કે - શી જિનપિંગ એ દરેકને હટાવવા લાગ્યા છે જે પોતાની ખુરશી માટે જોખમ સાબિત થવાના હોય. ચીનનું અખબાર પીએલએ ડેઈલી આને સેનાનું સફાઈ અભિયાન ગણાવે છે. 2023થી અત્યાર સુધીમાં ચીનમાં 50થી વધારે સૈન્ય અધિકારી હટાવાયા છે. ચીનમાં અને બીજા દેશોમાં 'પર્જ' નવી વાત નથી જે અક્ષમ હોય અને ભ્રષ્ટ હોય તેવા વ્યક્તિને ઉચ્ચ હોદ્દા પરથી હટાવી દેવા તેને 'પર્જ' કર્યું કહેવાય છે. તો એ રીતે ચીનમાં પર્જ કરવું એ નવી વાત નથી. કારણ કે 2023થી અત્યાર સુધીમાં આર્મીમાંથી જ 50 અધિકારીઓની હકાલપટ્ટી કરવામાં આવી છે. અગાઉના કેટલાક પર્જના કિસ્સા જોઈએ... 'પર્જ' પછી ગાયબ છે ચીનના સૈન્ય અધિકારીઓ CMC (સેન્ટ્રલ મિલિટરી કમિશન)ના 7 સભ્યોમાંથી 5ની હકાલપટ્ટી કરાયા બાદ ચીનમાં ક્યાંય જોવા મળતા નથી. તેમને પૂછપરછ માટે કોઈ ગુપ્ત જગ્યાએ રાખવામાં આવ્યા હોય એવું બને. ચીની મીડિયામાં એવી ચર્ચા છે કે તમામને ચીનથી દૂર આઉટ સ્કર્ટ વિસ્તારમાં એક હોટેલમાં રખાયા છે અને તમામના ફોન બંધ કરાવી દેવાયા છે. આ પાંચમાંથી એક રક્ષા મંત્રી છે અને બીજા ચાર આર્મી અધિકારીઓ છે. આ પાંચેય ક્યાં છે, તે કોઈ જાણતું નથી. કારણ કે જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ગુપ્ત જગ્યાએ જ રખાશે નહિતર અમેરિકા તેને ગમે ત્યારે ખતમ કરી શકે છે. યુદ્ધનો અનુભવ ધરાવે છે જિનપિંગના મિત્ર યુક્શિયા બેઈજિંગ પાસેના ગામમાં જન્મેલા યુક્શિયા 1968માં સેનામાં સામેલ થયા. 2012માં મિલિટરી કમિશનમાં સામેલ થયા. એ વર્ષોમાં ચીની સેનામાં આધુનિકરણનો દોર હતો. ચીનમાં મિલિટરીના ટોપ કમાન્ડર રાષ્ટ્રપતિ શી જિનપિંગ હોય છે. તેના પછી નંબર ટુની પોઝિશન પર જનરલ ઝાંગ યુક્શિયા હતા. મિલિટરી કમિશનમાં સામેલ થતાંની સાથે જ તેમને જનરલનું સર્વોચ્ચ પદ મળી ગયું. યુક્શિયા ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના પોલિટ બ્યુરોના સદસ્ય બન્યા. ઝાંગ યુક્શિયા પાસે યુદ્ધમાં લડવાનો બહોળો અનુભવ છે. 1984 અને 1989માં વિયેતનામ સામેના યુદ્ધમાં યુક્શિયા યુદ્ધના મેદાનમાં લડવા ગયા હતા. છેલ્લે 20 નવેમ્બર 2025એ મોસ્કોમાં રશિયાના રક્ષામંત્રી સાથે મિટિંગ કરતા જોવા મળ્યા હતા. રશિયા સાથેની મિટિંગ પહેલાં જ જિનપિંગે સેનાના સર્વોચ્ચ અધિકારી હે વેડાંગ અને અન્ય આઠ અધિકારીઓની હકાલપટ્ટી કરી હતી. ઝાંગ યુક્શિયાને હટાવાયા એ વાત તો સાચી છે પણ સાચું કારણ સામે આવતું નથી. ભારતના ચાર પાડોશી દેશમાં સેનાની સ્થિતિ જિનપિંગે પહેલીવાર સૈન્ય તાકાત બતાવી ને રાતોરાત હકાલપટ્ટી શરૂ કરી સપ્ટેમ્બર 2025માં ચીને પોતાના ઈતિહાસમાં પહેલીવાર સૌથી મોટી પરેડનું આયોજન કર્યું. બીજા વિશ્વયુદ્ધમાં ચીને જાપાનને હરાવ્યું હતું. તેના 80 વર્ષ પૂરાં થતાં આ પરેડ થઈ હતી. આ પરેડમાં દુનિયાના 26 દેશોના રાષ્ટ્ર પ્રમુખોને બોલાવાયા હતા. જેમાં પુતિન પણ હતા અને ઉત્તર કોરિયાના કીમ જોંગ પણ હતા. પાંચ મહિના પહેલાં શી જિનપિંગ પોતાની સેનાની તાકાતનું પ્રદર્શન કરતા હતા અને અચાનક સેનાના ટોપના કમાન્ડરોની હકાલપટ્ટી થવા લાગી. છેલ્લે, ચીનની વિક્ટ્રી ડે પરેડ દરમિયાન હોટ માઇક પર રેકોર્ડ થયેલી જિનપિંગ અને પુતિનની 'ગુપ્ત' વાતચીતને આખી દુનિયાએ સાંભળી. આ બંને નેતાઓ વાત કરી રહ્યા હતા કે માણસ 150 વર્ષ સુધી જીવી શકે છે... અંગો વારંવાર બદલી શકાય છે... જેટલું વધુ જીવો, એટલું યુવાન રહો... કદાચ માણસ અમર પણ થઈ શકે. આનો મતલબ એવો થયો કે જિનપિંગ અને પુતિન લાંબુ આયુષ્ય વધારવાના ગુપ્ત પ્રયોગ કરી રહ્યા હોય, એવું બની શકે. કારણ કે બંનેએ પોતાના દેશોમાં રાષ્ટ્રપતિની અવધિ અમર્યાદ કરતો નિયમ બનાવી દીધો છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)
પાટણ પોલીસે બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યો:198 બોટલ રક્ત એકત્ર કરાયું, ધારપુર બ્લડ બેન્કને અર્પણ
પાટણ જિલ્લા પોલીસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. આ કેમ્પમાં કુલ 198 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું, જે ધારપુર બ્લડ બેન્કને અર્પણ કરાયું છે. આ રક્તદાન શિબિરમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, તેમના પરિવારના સભ્યો, હોમગાર્ડ અને જી.આર.ડી. જવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિવિધ સામાજિક સંસ્થાઓના સભ્યોએ પણ આ માનવતાવાદી કાર્યમાં યોગદાન આપ્યું હતું. કેમ્પ દરમિયાન પોલીસ અધિક્ષક વી.કે. નાઈ, નાયબ પોલીસ અધિક્ષક (સિદ્ધપુર), એસ.સી./એસ.ટી. સેલના અધિકારીઓ અને મુખ્ય મથકના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારપુર કોલેજના ડો. પારૂલ શર્મા તેમજ સામાજિક આગેવાનો બેબાભાઈ શેઠ અને બાબુભાઈ પ્રજાપતિ પણ હાજર રહ્યા હતા. એકત્ર થયેલું રક્ત જરૂરિયાતમંદ દર્દીઓ માટે ધારપુર બ્લડ બેન્કને સુપ્રત કરવામાં આવ્યું છે.
અમરેલીમાં કોંગ્રેસના 17 નવા પ્રમુખોની વરણી:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા સંગઠન મજબૂત કરાયું
અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસે સંગઠનને મજબૂત કરવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જિલ્લાના 17 શહેર અને તાલુકા મથકો પર નવા પ્રમુખોની સત્તાવાર વરણી કરવામાં આવી છે. આ નિમણૂકોનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી ચૂંટણીઓમાં પક્ષની પકડ મજબૂત કરવાનો છે. નવી વરણીથી જિલ્લા સ્તરે કોંગ્રેસનું સંગઠન વધુ સુદ્રઢ બનશે અને કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો છે. જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ આ હોદ્દેદારોને આવકારી સન્માનિત કર્યા હતા. સાવરકુંડલા શહેરમાં પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા નવા નિમાયેલા પ્રમુખોનું ફૂલહારથી સ્વાગત કરી સન્માન સમારંભ યોજાયો હતો. આ સમારંભ દરમિયાન કોંગ્રેસ સંગઠનની એકતા અને મજબૂતીનો સંદેશ આપવામાં આવ્યો હતો, જેમાં કોઈ જૂથવાદ કે નારાજગી ન હોવાનો સંકેત અપાયો હતો. આગેવાનોએ આશા વ્યક્ત કરી કે આ નિમણૂકોથી કોંગ્રેસને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફાયદો થશે. કોંગ્રેસ પક્ષ દ્વારા જેમને જવાબદારી સોંપવામાં આવી છે તેમાં ધારી તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિલીપભાઈ સાવલિયા, બગસરા તાલુકા પ્રમુખ અશોકભાઈ ગોંડલીયા, ખાંભા તાલુકા પ્રમુખ રમેશકુમાર કળસરિયા, અમરેલી તાલુકા પ્રમુખ વિપુલભાઈ પોંકીયા, કુંકાવાવ તાલુકા પ્રમુખ સત્યમભાઈ મકાણી, બાબરા તાલુકા પ્રમુખ ધીરુભાઈ વહાણી, લાઠી તાલુકા પ્રમુખ કાળુભાઇ શેખડા, સાવરકુંડલા તાલુકા પ્રમુખ નરેશભાઈ દેવાણી, લીલીયા તાલુકા પ્રમુખ નીતિનભાઈ ત્રિવેદી, રાજુલા તાલુકા પ્રમુખ ગાંગાભાઈ હડીયા, જાફરાબાદ તાલુકા પ્રમુખ અનકભાઈ સાંખટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ધારી શહેર કોંગ્રેસ પ્રમુખ રવિભાઈ હિરાણી, બગસરા શહેર પ્રમુખ અનિલભાઈ શેખ, અમરેલી શહેર પ્રમુખ સંદીપભાઈ ધાનાણી, બાબરા શહેર પ્રમુખ ચિતરંજનભાઈ છાંટબાર, લાઠી શહેર પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, સાવરકુંડલા શહેર કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ સૂચક, રાજુલા શહેર પ્રમુખ રવિભાઈ ધાખડા અને જાફરાબાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હરેશભાઇ બાંભણીયા સહિતનાઓની નિમણૂક કરવામાં આવી છે.
પ્રેમલગ્નના ખાર રાખી યુવાનનું અપહરણ:યુવતીના પિતા સહિત 8 શખ્સોએ માર માર્યો
માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્નના ખાર રાખી એક યુવાનનું અપહરણ કરી માર મારવામાં આવ્યો હતો. આઠ શખ્સોએ યુવાનને સ્કોર્પિયો ગાડીમાં અપહરણ કરી ઓફિસે લઈ જઈ ઢીકાપાટુ અને ધોકા વડે માર માર્યો હતો. ઈજાગ્રસ્ત યુવાને સારવાર લીધા બાદ માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે. માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામના કિશોરભાઈ દેવદાનભાઈ લોખિલ (ઉં.વ. 37)એ આ ફરિયાદ નોંધાવી છે. તેમણે કમલેશભાઈ વિરડા (રહે. સોનગઢ), રમેશભાઈ હમીરભાઈ બરારીયા, વિનોદભાઈ રાણાભાઇ બરારીયા, મુળુભાઈ બીજલભાઇ બરારીયા, હિતેશભાઈ મૂળુભાઈ બરારીયા, ભવાનભાઈ બીજલભાઇ બરારીયા (તમામ રહે. મોટા દહીસરા) અને હિતેશભાઈ બરારીયાના બે સાળાઓ સામે અપહરણનો ગુનો દાખલ કરાવ્યો છે. ફરિયાદ મુજબ, કિશોરભાઈ સરવડ ગામ પાસે આવેલા તેમના પાણીના કારખાને હાજર હતા ત્યારે તમામ આરોપીઓ સ્કોર્પિયો ગાડીમાં આવ્યા હતા. તેઓએ કિશોરભાઈનું અપહરણ કરી મોટા દહીસરા ગામે આવેલી વિશાલ રોડવેઝની ઓફિસે લઈ ગયા હતા. ઓફિસમાં આરોપીઓએ કિશોરભાઈને ગાળો આપી હતી. વિનોદભાઈએ તેમને ધોકા વડે જમણા હાથની કોણી પાસે માર માર્યો હતો, જ્યારે હિતેશભાઈના સાળાએ પાંસળી અને વાંસાના ભાગે ઈજા પહોંચાડી હતી. અન્ય આરોપીઓએ પણ ઢીકાપાટુનો માર માર્યો હતો. આ ઘટના પાછળનું કારણ કિશોરભાઈના કૌટુંબિક ભાઈએ આરોપી હિતેશભાઈ બરારીયાની દીકરી સાથે કરેલા પ્રેમલગ્નનો ખાર હોવાનું જણાવાયું છે. માર માર્યા બાદ ઈજાગ્રસ્ત કિશોરભાઈને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. તેમની ફરિયાદના આધારે માળીયા મીયાણા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
‘UGCનો કાળો કાયદો પરત લો નહીં તો...’ અયોધ્યાના જગદગુરુની ચિમકી, શિવસેનાનો પણ વિરોધ
UGC Controversy : યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા જાહેર કરવામાં આવેલા નવા ‘ઈક્વિટી રૂલ્સ 2026’ને લઈને સમગ્ર દેશમાં વિરોધ ચાલી રહ્યો છે. એક તરફ અયોધ્યાના સંત સમાજે આને કાળો કાયદો ગણાવીને ઉગ્ર ચેતવણી આપી છે, તો બીજી તરફ રાજકીય મોરચે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ પણ કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલ્યો છે. યુનિવર્સિટી કેમ્પસમાં સમાનતા લાવવાના નામે ભેદભાવ વધારવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થી સંગઠનો અને સામાજિક સંસ્થાઓ દિલ્હીમાં યુજીસી કાર્યાલયની બહાર પ્રદર્શન કરી રહ્યા છે. આ ગંભીર સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે દરમિયાનગીરી કરીને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો છે. .
વેરાવળમાં ભારત વિકાસ પરિષદ સોમનાથ શાખા અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ગીર સોમનાથ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ માટે પ્રેરણાત્મક વ્યાખ્યાનનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ મંગળવારે, ૨૭મી તારીખે, ડાભોર રોડ પર આવેલા કપિશ્વર પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો. બોર્ડની પરીક્ષાઓ નજીક આવતા વિદ્યાર્થીઓમાં વધતા માનસિક તણાવ, ભય અને અસમંજસની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વ્યાખ્યાન યોજાયું હતું. તેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને માનસિક રીતે મજબૂત બનાવવા, સકારાત્મક વિચારધારા વિકસાવવા અને પરીક્ષાને ભયને બદલે ઉત્સવ તરીકે સ્વીકારવા પ્રેરિત કરવાનો હતો. આ કાર્યક્રમ નિઃશુલ્ક હતો. વેરાવળ શહેરની વિવિધ શાળાઓના ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ બંને માટે ઉપયોગી એવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે જાણીતા મોટીવેશનલ સ્પીકર, લેખિકા અને સામાજિક કાર્યકર્તા નેહલબેન ગઢવીએ પ્રેરણાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે પોતાના જીવનઅનુભવ, વિચારો અને ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓને માત્ર પરીક્ષાઓ માટે જ નહીં, પરંતુ જીવનની દરેક કસોટી માટે તૈયાર રહેવા પ્રેરણા આપી. નેહલબેન ગઢવીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ પરીક્ષા નજીક આવતાં તણાવ અને નકારાત્મક વિચારોનો સામનો કરતા હોય છે. બહારથી ખુશ દેખાતા બાળકો પણ મનમાં અનેક પ્રશ્નો અને શંકાઓ ધરાવતા હોય છે. આવા સમયે પ્રેરણાત્મક કાર્યક્રમો ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે કોઈ એક વિદ્યાર્થી ખુલ્લેઆમ પ્રશ્ન પૂછે છે, ત્યારે અન્ય વિદ્યાર્થીઓને પણ લાગે છે કે તેમની સમસ્યા એકલી નથી. આ સમજ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે છે. વિદ્યાર્થીઓ એકબીજા સાથે પોતાની સમસ્યાઓ શેર કરે તે અત્યંત જરૂરી છે, જેથી તેઓ આત્મહત્યા જેવા વિચારો તરફ ન વળે.
પાલનપુર કોર્ટ સંકુલમાં રક્તદાન કેમ્પ યોજાયો:બાર એસોસિએશન અને ટ્રાફિક પોલીસે સંયુક્ત આયોજન કર્યું
પાલનપુર કોર્ટ સંકુલ ખાતે પાલનપુર બાર એસોસિએશન અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વકીલો, પોલીસ કર્મચારીઓ અને શહેરીજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ લાવવાના હેતુથી આ કેમ્પ યોજાયો હતો. તબીબી નિષ્ણાતોની દેખરેખ હેઠળ સુરક્ષિત રીતે રક્તદાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાર એસોસિએશનના હોદ્દેદારો અને ટ્રાફિક પોલીસના અધિકારીઓએ રક્તદાનનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રક્તદાન એ માનવસેવાની ઉત્તમ રીત છે અને એક રક્તદાનથી અનેક જીવ બચાવી શકાય છે. કેમ્પને સફળ બનાવવામાં સહકાર આપનાર તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભવિષ્યમાં પણ આવા સેવાકાર્યો યોજવા અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ચાલી રહેલા ટ્રાફિક મંથને લઈને પણ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.
અમદાવાદ શહેરની મેડિસિટીમાં આવેલ એમ. એન્ડ જે. વેસ્ટર્ન રિજનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઓપ્થેલ્મોલોજી ખાતે સંસ્થાને એડવાન્સ ફેકોઇમલ્સિફિકેશન મશીન અર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં પશ્ચિમ વિસ્તારના લોકસભાના સાંસદ દિનેશ મકવાણા તથા રાજ્યકક્ષાના મંત્રી દર્શના વાઘેલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. સાંસદના સ્થાનિક વિસ્તાર વિકાસ ફંડમાંથી આ એડવાન્સ ફેકો મશીન સંસ્થાને ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આધુનિક મશીનથી મોતિયાના ટાંકા વગરના ઓપરેશન થશેઆ આધુનિક મશીનથી મોતિયાના ટાંકા વગરના ઓપરેશન શક્ય બનશે, જેનાથી દર્દીઓને ઝડપી અને સુરક્ષિત સારવાર મળી રહેશે. ઉપરાંત ઝામરના દર્દીઓ તેમજ નાના બાળકોના મોતિયાના ઓપરેશન માટે પણ આ મશીન અત્યંત ઉપયોગી સાબિત થશે. સાંસદ અને મંત્રીએ બ્લડ ડોનેશન કેમ્પ તેમજ મશીન અંગે વિગતવાર માહિતી મેળવી હતી. આ સાથે સંસ્થાના ડાયરેક્ટર ડૉ. સ્વાતિ દેવનહલ્લી પાસેથી સંસ્થાની કામગીરી અંગે પણ વિગતવાર માહિતી મેળવી હતી. સાંસદ દિનેશ મકવાણા તથા મંત્રી દર્શના વાઘેલા ઉપસ્થિત રહ્યાંસંસ્થાની સેવા અને કામગીરીથી પ્રભાવિત થઈ સાંસદ દિનેશ મકવાણાએ આગામી સમયમાં સંસ્થાને કોઈપણ પ્રકારની મશીનરી કે અન્ય સહાયની જરૂર પડશે તો તેઓ તેમના સાંસદ ફંડમાંથી તેમજ જરૂર પડે તો કેન્દ્ર સરકારમાંથી પણ ફંડ લાવી આપવાની ખાતરી આપી હતી. તે જ રીતે મંત્રી દર્શનાબેન વાઘેલાએ પણ પોતાના વિસ્તાર માટે કોઈપણ પ્રકારની સહાય માટે હંમેશા તૈયાર હોવાનું જણાવ્યું હતું અને જરૂર પડ્યે રાજ્ય સરકારના ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની ખાતરી આપી હતી.
AIMIM પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલા ગોધરાની મુલાકાતે:સર્કિટ હાઉસ ખાતે સ્થાનિક નેતાઓ સાથે બેઠક યોજી
AIMIM ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલાએ આજે ગોધરાની મુલાકાત લીધી હતી. તેમણે ગોધરા સર્કિટ હાઉસ ખાતે સ્થાનિક સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો સાથે બેઠક યોજી હતી. આ મુલાકાત દરમિયાન, કાબલીવાલાએ આગામી રણનીતિ, સ્થાનિક પ્રશ્નો, વર્તમાન રાજકીય સ્થિતિ અને સંગઠન મજબૂતીકરણ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. તેમણે સ્થાનિક સ્તરે પક્ષની કામગીરીની પણ સમીક્ષા કરી હતી. બેઠકનો મુખ્ય એજન્ડા તાજેતરમાં ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાઓ અને તેમાં સંડોવાયેલા વ્યક્તિઓનો હતો. આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાબિર કાબલીવાલાએ જણાવ્યું હતું કે, બી ડિવિઝન ગુનામાં સંડોવાયેલા વ્યક્તિઓને જરૂરી તમામ કાયદાકીય મદદ પૂરી પાડવા માટે ખાસ વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે. પક્ષ તરફથી વકીલોની ટીમ દ્વારા યોગ્ય રજૂઆત થાય અને કાયદાના દાયરામાં રહીને લોકોને ન્યાય મળે તે માટે સ્થાનિક નેતાઓ સાથે ખાસ ચર્ચા કરવામાં આવી હતી.
જામનગરના અગ્રણી ઉદ્યોગપતિ વિશાલ મહેન્દ્ર મોદી સામે દુષ્કર્મની ફરિયાદ બાદ હવે વધુ એક ગુનો નોંધાયો છે. તેમના ભાગીદાર લેન્ડ ડેવલોપર અશોક દેવશી અકબરીએ જમીનના વિવાદમાં ધમકી આપી અને માર માર્યાની ફરિયાદ પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ફરિયાદ મુજબ, વિશાલ મોદીએ ભાગીદારીમાં ખરીદેલી કિંમતી જમીનોના ભાવ આસમાને પહોંચતા અશોકનો હિસ્સો આપવાનો ઇનકાર કર્યો હતો. આ મામલે વિશાલ મોદીએ અશોકને પોતાની મિલમાં બોલાવી રિવોલ્વરની અણીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ઢોર માર માર્યો હતો. અશોકભાઈ અકબરી (ઉંમર 47, રહે. મયૂરબાગ, પંચવટી સોસાયટી પાસે, જામનગર)એ જણાવ્યું કે, છેલ્લા ત્રણ વર્ષથી વિશાલ મોદી તેમને અને તેમના ભાઈ ભરતને અલગ અલગ જગ્યાએ બોલાવી જમીનના ભાગ બાબતે તકરાર કરતા હતા. વિશાલે તેમની તથા ગ્રાહકોની મૂડી અને પ્લોટ પણ છૂટા કર્યા નથી. આ અંગે અશોકે અગાઉ પોલીસમાં અરજી કરી હતી, પરંતુ તે ફાઈલ થઈ ગઈ હતી. ત્યારબાદ તેમણે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરતા, કલેક્ટરે તાત્કાલિક ગુનો નોંધવાનો આદેશ કર્યો હતો, જેના પગલે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, વિશાલે અશોક અને તેમના ભાઈને ગાળો આપી, ટાંટિયા ભાંગી નાખવાની અને રિવોલ્વરની અણીએ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. આ બધા ગુનાઓ દરેડ ફેઈઝ-3, મસિતિયામાં આવેલી અપના ઈમ્પેક્સ ઓફિસમાં તથા દરેડ વિસ્તારમાં આવેલી ન્યૂ એરા કન્સ્ટ્રક્શન સાઈટ પર તથા આરોપીની બેડી વિસ્તારમાં આવેલી જનક ઓઈલ મીલ ખાતે આરોપીએ આચર્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. જે ફરિયાદના અનુસંધાને પંચકોશી બી. ડિવિઝનના પી.આઈ. વી.જે. રાઠોડ અને તેમની ટીમે વિશાલ મોદી સામે આઈ.પી.સી. કલમ 323, 504અને 506-2 મુજબ ગુનો નોંધ્યો છે, અને તપાસ શરૂ કરી છે. છેલ્લા પાંચ વર્ષ જેટલા સમયગાળા દરમિયાન વિશાલ મોદીના ત્રાસ, ધાકધમકી અને મારકુટ વગેરેથી કંટાળીને અશોકે જામનગરના પંચકોશી બી.ડિવિઝન પોલીસ મથકમાં અરજી કરી હતી, પરંતુ અગાઉ તેની અરજી ફાઈલ થઈ ગઈ હતી. આખરે સ્વાગત નિવારણ સમક્ષ પોતે ફરિયાદ કરી હતી, જેમાં જામનગર ગ્રામ્ય મામલતદારની કચેરીમાં જે તે વખતે જિલ્લા કલેકટર કેતન ઠક્કર ખુદ હાજર રહ્યા હતા,અને સાંભળ્યા હતા. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, પોતે છેલ્લા પાંચ વર્ષથી વિશાલ મોદીની ધાકધમકી, ત્રાસ, અને મારકુટ નો ભોગ બની રહ્યા છે. પોતાને ભાગ આપવાના બદલે ગાળો આપી મારકુટ કરાય છે. તેમજ તેની સામેની પોલીસ ફરિયાદ નોંધાવાતી નથી. જે રજૂઆત સાંભળીને જિલ્લા કલેકટરે તાત્કાલિક અસરતથી આ ફરિયાદ નોંધવા આદેશ કર્યો હતો, જેના અનુસંધાને આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, થોડા સમય અગાઉ આ આરોપી વિશાલ મોદી વિરુદ્ધ એક મહિલાએ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવી હતી, જે કેસમાં આરોપીએ પોલીસને તપાસમાં સહયોગ આપવો પરંતુ આરોપીની ધરપકડ કરી શકાશે નહીં, અને સાત દિવસ પહેલાં નોટિસ પાઠવવી, એવું અગાઉ ઉપરી અદાલતે કહ્યું હતું. તે દરમિયાન હવે આ જ આરોપી વિરુદ્ધ બીજો ગુનો ખુદ તેના ભાગીદારે દાખલ કરાવ્યો છે, જેથી ભારે ચકચાર જાગી છે પોલીસે તેની અટકાયત કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
સૌરાષ્ટ્ર–ગુજરાતની દેહાણ જગ્યાઓ ધર્મની, સમાજની અનન્ય સેવા કરતી આવી છે. જ્યાં ટુકડો, ત્યાં હરિ ઢુકડો ના સૂત્રને ભેદભાવ વિના ચરિતાર્થ કર્યું છે. વિખરાતા સમાજને રોટલા થી જોડ્યો છે... અભાવગ્રસ્તોના હામી થઈને આંસુ લૂછ્યા છે. સાંપ્રત સમયમાં પણ વિવિધ સેવાઓ દ્વારા ઝૂંપડીઓમાં અજવાળા પાથર્યા છે. આવી જગ્યાઓની એવોર્ડ અર્પણ કરીને તેમની વંદના કરવાનો ઉપક્રમ પ્રતિ વર્ષની જેમ માધપૂર્ણિમાના દિવસે સેંજળ ધામ (તા.સાવરકુંડલા, જી, અમરેલી) ખાતે પૂ. મોરારીબાપુની પ્રેરણા અને માર્ગદર્શનમાં વિનમ્ર ભાવે રચાયો છે.આગામી તારીખ 1 ફેબ્રુઆરીને રવિવારના રોજ વર્ષ 2026ના વર્ષનો અને સળંગ 16મો ધ્યાનસ્વામીબાપા એવોર્ડ 2026 સૌરાષ્ટ્રની પ્રસિદ્ધ પૂ. લાલજી મહારાજની જગ્યા, ભગતનું ગામ સાયલાને અર્પણ કરીને વંદના કરવામાં આવશે. આ જગ્યાના મહંતશ્રી, મહામંડલેશ્વર શ્રીદુર્ગાદાસજી ગુરુશ્રી તુલસીદાસજી મહારાજ આ એવોર્ડ/વંદના સ્વીકારશે. એવોર્ડ અર્પણ સમારંભ આગામી તા.1 ને રવિવારે સવારે 9.30 કલાકે શરૂ થશે. પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ અનેક જગ્યાઓના મહંતો, સંતો ઉપસ્થિત રહી પ્રસંગની ગરિમા વધારશે.ઐતિહાસિકતાના ક્રમમાં સને 2011 ની સાલથી દર વર્ષે ધ્યાનસ્વામીબાપા એવોર્ડ અર્પણ કરીને વંદના કરવામાં આવે છે. નિમ્બરકચાર્ય શ્રી હરિવ્યાસજી મહારાજના શિષ્ય પૂ.ધ્યાનસ્વામીએ વ્રજમાંથી વિચરણ કરીને વર્ષો પહેલા સેંજળ ગામને પોતાની સાધના ભૂમિ બનાવી હતી. આજે ત્યાં તેમની ચેતન સમાધિ છે. તેઓ મોરારીબાપુની ભક્તિ પરંપરાના મૂળ પુરુષ છે. તેમના અધિકારી શિષ્ય પૂ .જીવનદાસજીના વંશમાં મોરારીબાપુ નો જન્મ થયો. એ મૂળ પુરુષના પુણ્યસ્મરણ સાથે આ એવોર્ડનું નામ જોડવામાં આવ્યું છે.
રાજકોટ શહેરમાં આપઘાતના વધુ 3 બનાવ સામે આવ્યા છે જેમાં એક યુવક એક યુવતી અને એક આધેડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. મૂળ પોરબંદરના યુવકે રાજકોટમાં ગળેફાંસો ખાઈ જયારે બે વર્ષ પહેલા બિલ્ડીંગ પરથી કૂદકો મારતા પહોંચેલી ઈજાનો દુઃખાવો સહન ન થતાં યુવતીએ આપઘાત કરી લેતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત મોરબી રોડ પર ટ્રેન હડફેટે યુવકનું મોત થતા તેને આપઘાત કર્યો હોવાની શંકા આધારે બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના યુવકનો રાજકોટમાં આપઘાત રાજકોટના જગન્નાથ પ્લોટમાં રહેતાં યશ લાખાભાઇ વાળા (ઉ.વ.28) નામના યુવાને ગળાફાંસો ખાઇ લેતાં મોત નિજયુ હતું બનાવની જાણ તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં યશ મુળ પોરબંદરનો વતની હોવાનું અને રાજકોટમાં પોતે ચાર વર્ષથી રહી બ્યુટી પાર્લરનીમાં નોકરી કરતો હતો. યશ ગઇકાલે સાંજે રૂમ પર હતો ત્યારે સાથેના બીજા છોકરાઓને ટીફીન લેવા મોકલ્યા હતાં. આ છોકરા ટીફીન લઇને આવ્યા ત્યારે તે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો યશ બે ભાઈ બહેનમાં નાનો અને અપરણિત હતો. પરિવાર જ્યારે લગ્નનું કહે ત્યારે તે કહેતો કે પહેલા મારે કારકિર્દી બનાવવી છે પછી લગ્ન કરીશ. જો કે આપઘાત ક્યાં કારણોસર કર્યું તે જાણવા ન મળતા પોલીસ મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી મોતનું ચોક્કસ કારણ જાણવા જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. BSNLના હેલ્પરનો ગૃહકલેશથી કંટાળી આપઘાત રાજકોટના પારેવડી ચોક પાસે આવેલા મહાત્મા ગાંધી પ્લોટ શેરી નં.3માં રહેતા મહેન્દ્રભાઇ મનસુખભાઇ મકવાણા (ઉ.વ.44) નામના યુવાને આજે સવારે પોતાના ઘરે લોખંડના એગલમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા બી-ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક મનસુખભાઇ એક ભાઇ એક બહેનમાં નાના અને BSNLમાં હેલ્પર તરીકે નોકરી કરતા હોવાનું અને તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હોવાનુ સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ગૃહકલેશથી કંટાળી જીવન ટૂંકાવી લીધાનું સામે આવ્યું છે. બે વર્ષ પૂર્વે બિલ્ડીંગ પરથી કૂદકો મારતા પહોંચેલી ઈજાનો દુઃખાવો સહન ન થતાં યુવતીનો આપઘાત રાજકોટના રૈયાધાર ઇન્દિરાનગરમાં રહેતી પાયલ બચુભાઇ બાંભવા (ઉ.વ.20) નામની યુવતીએ ગઇકાલે સાંજે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતા તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ સારવાર મળે તે પહેલા તેનુ મોત નીપજ્યુ હતું. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક પાયલ એક ભાઇ ત્રણ બહેનમાં નાની હોવાનું અને તેના છૂટાછેડા થઇ ગયા હોવાનું સામે આવ્યું છે. બે વર્ષ પહેલા હનુમાન મઢી ચોક પાસે આવેલા બિલ્ડિંગ ઉપરથી કૂદકો મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેમાં તેને ગંભીર ઇજા થઇ હોય જેનો દુખાવો સહન થતો ન હોવાથી તેણીએ આ પગલુ ભરી લીધાનુ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ટ્રેન અડફેટે ચડી જતા યુવાનનું મોત, આપઘાતની શંકા રાજકોટના મોરબી રોડ પર રાજલક્ષ્મી સોસાયટી ફાટક પાસે અજાણયો યુવાન ટ્રેન હેઠળ કપાઇ જતા 108ના સ્ટાફે મૃત જાહેર કરી બી ડિવિઝન પોલીસને જાણ કરતા જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી તેની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. દરમિયાન તેની ઓળખ મળતા તે મુળ ધ્રાંગધ્રાનો વતની અને હાલ રાજકોટમાં ગોંડલ ચોકડી પાસે આવેલી રિધ્ધી સીધ્ધી સોસાયટીમાં એકલો રહેતો ગૌતમ મગનભાઈ પરમાર (ઉ.વ.38) હોવાનુ જાણવા મળ્યુ હતું. પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઇ એક બહેનમાં નાનો અને મજૂરી કામ કરતો હોવાનું સામે આવ્યું છે. તેને સંતાનમાં બે પુત્રો હોવાનુ જાણવા મળ્યુ છે. મૃતકે ટ્રેન હેઠળ ઝંપવાલી આપઘાત કરી લીધાની શંકાના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ડાંગમાં ઠંડી સાથે વાદળછાયું વાતાવરણ:ત્રણ દિવસથી હવામાનમાં અચાનક પલટો, શિયાળુ પાકને નુકસાનની ભીતિ
ડાંગ જિલ્લાના સાપુતારા, આહવા, સુબીર અને વઘઈ તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો છે. વાદળછાયા વાતાવરણ અને ઠંડા પવનને કારણે વાતાવરણમાં ભેજ વધ્યો છે, જેના પરિણામે ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. આ બદલાયેલા હવામાનથી જનજીવન અને ખેતી પર અસર થવાની શક્યતા છે. ડાંગ જિલ્લો મુખ્યત્વે ખેતી આધારિત હોવાથી ખેડૂતો માટે આ હવામાન પરિવર્તન ચિંતાજનક બન્યું છે. શિયાળુ પાક જેવા કે ઘઉં, ડુંગળી, લસણ, ચણા અને વિવિધ શાકભાજી પર વાદળછાયા વાતાવરણની માઠી અસર થવાની ભીતિ છે. સતત ભેજને કારણે પાકમાં ફૂગ, રોગચાળો અને જીવાતનો ઉપદ્રવ વધવાની શક્યતા છે, જે ઉત્પાદન ઘટાડી શકે છે. ખેડૂતોના મતે, જો આગામી દિવસોમાં વરસાદ પડે અથવા ભેજ યથાવત્ રહે તો પાકને મોટું નુકસાન થઈ શકે છે. ખાસ કરીને ડુંગળી અને શાકભાજીના પાકમાં સડો થવાની સમસ્યા ઊભી થઈ શકે છે, જેનાથી ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે. આ ઉપરાંત, ડાંગ જિલ્લાના મહત્વપૂર્ણ કેરીના પાક પર પણ આ હવામાન પરિવર્તનની અસર થવાની શક્યતા છે. હાલ કેરીના વૃક્ષોમાં મંજરી આવવાની પ્રક્રિયા ચાલી રહી છે. વાદળછાયા વાતાવરણ અને વધેલા ભેજને કારણે મંજરી પર રોગ લાગવાની અને ફળધારણ પર અસર થવાની સંભાવના છે, જે કેરીના ઉત્પાદનને પ્રતિકૂળ અસર કરી શકે છે. હવામાન નિષ્ણાતોના મતે, આગામી એક-બે દિવસ સુધી આવું જ વાતાવરણ રહેવાની શક્યતા છે. કૃષિ વિભાગે ખેડૂતોને તેમના પાકની નિયમિત દેખરેખ રાખવા, જરૂર જણાય ત્યાં રોગનાશક દવાઓનો ઉપયોગ કરવા અને સંભવિત નુકસાનથી બચવા માટે તકેદારી રાખવાની સલાહ આપી છે. હવામાનના આ અચાનક બદલાવે ડાંગ જિલ્લાના ખેડૂતોમાં ચિંતા વધારી છે. હવે સૌની નજર આગામી દિવસોમાં હવામાન કેવું રહે છે તેના પર ટકેલી છે.
અમદાવાદના શેલા વિસ્તારમાં રહેતા 30 વર્ષીય ભાટિયા સાથે 16.50 લાખ રૂપિયાની છેતરપિંડીનો આચરવામાં આવી છે. લોન અને પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટના બહાને આરોપીઓએ મુંબઈમાં પ્રોપર્ટી ખરીદવાની લાલચ આપી હતી. સ્ટેમ્પ ડ્યુટીના નામે લાખો રૂપિયા પડાવી લીધા. ખોટી રસીદ બનાવી વિશ્વાસમાં લીધા બાદ ફરિયાદીએ ઓનલાઇન ચેક કરતા રિસિપ્ટ ખોટી હોવાનું સામે આવ્યું હતું. યુવકે પૈસા પરત માંગતા માત્ર દોઢ લાખ રૂપિયા આપી બાકીની રકમ પરત ન કરી. આખરે યુવકે કંટાળીને ત્રણ લોકો સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સારી પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવી આપવાની લાલચ આપી યુવકને ફસાવ્યોશેલા વિસ્તારમાં રહેતા 30 વર્ષીય જશ ભાટિયા સાથે 16.50 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. ફરિયાદી પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટનો ધંધો કરતા હોવાથી લોનની આવશ્યકતા રહેતી હોય છે. જેથી લોનના કામકાજ માટે નવરંગપુરામાં બાલાજી હાઇટ્સમાં ઓફિસ ધરાવતા રાજેશ પટેલ સાથે સંપર્ક થયો હતો. 2023માં ઓળખાણ થઈ હતી, પરંતુ લોનની જરૂર હોવાથી થોડા મહિના પહેલા ફરિયાદી અને તેમનો મિત્ર રાજેશ પટેલની ઓફિસે ગયા હતા. જે દરમિયાન ફરિયાદીની ઓળખાણ વિનોદ પટેલ સાથે કરાવી હતી. મુંબઈ ખાતે લોનની કામકાજ કરતા હોવાનું કહી સારી પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવી આપવાની લાલચ આપી હતી. 18 લાખ સ્ટેમ્પ ડ્યુટી ભરીજેથી ફરિયાદીએ મુંબઈમાં પ્રોપર્ટી ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે બાદ વિનોદ પટેલે સ્ટેમ્પ ડ્યુટીના 18 લાખ રૂપિયા આપવા માટે કહેવામાં આવ્યું હતું. જે માટે સ્વપ્નિલ ચંડે નામના વ્યક્તિનો એકાઉન્ટ નંબર પણ મોકલી આપવામાં આવ્યો હતો. જે બાદ ફરિયાદીએ ઓનલાઇન એપ્લિકેશન દ્વારા 18 લાખ ટ્રાન્સફર કર્યા હતા. જે બાદ વિનોદ પટેલે તેમ ડ્યુટી ભર્યાની રિસિપ્ટ પણ ફરિયાદીને વોટ્સએપ પર મોકલી આપી હતી. રિસિપ્ટ પર નામ, સરનામું અને ફરિયાદોને પાનકાર્ડ નંબર પણ અને 18 લાખ સ્ટેમ્પ ડ્યુટી ભરી હોવાની વિગતો પણ લખેલી હતી. જે રિસિપ્ટ યુવકને આપવામાં આવી હતી તે ખોટી હોવાનું સામે આવ્યુંજે બાદ 19 જુલાઈ 2024ના રિસિપ્ટ પ્રિન્ટ કાઢીને જ્યારે તેના વકીલને બતાવી હતી. જેથી વકીલે ઓનલાઈન વિગતો ચેક કરી ત્યારે રિસિપ્ટ અજિત નારાયણ પાટિલના નામથી હતી. જેમાં 6.30 લાખની સ્ટેમ્પ ડ્યુટી ભરી હોવાનું સામે આવ્યું હતું. તેમજ જે રિસિપ્ટ યુવકને આપવામાં આવી હતી તે ખોટી હોવાનું સામે આવ્યું હતું. ત્રણ સામે ફરિયાદ નોંધાઈજેથી ફરિયાદીએ વિનોદ પટેલ પાસે પૈસા પરત માંગ્યા હતા. પરંતુ અનેક સમય સુધી પૈસા પરત ન આપતા યુવકે પોલીસ ફરિયાદ કરવાનું કહેતા દોઢ લાખ રૂપિયા આપ્યા હતા. પરંતુ તે બાદ 16.50 લાખ રૂપિયા પરત ન આપતા આખરે યુવકે કંટાળીને રાજેશ પટેલ, વિનોદ પટેલ અને સ્વપ્નિલ ચંડે નામના વ્યક્તિ સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
શિક્ષાપત્રી લેખનના 200 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે કાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત પાંચ દિવસીય 'સમૈયા મહોત્સવ'નું આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં સમાપન થયું હતું. અડાલજ ચોકડી પાસેના પર્વ ગ્રાઉન્ડ ખાતે હજારો હરિભક્તોને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે, શિક્ષાપત્રી માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ વ્યવહારિક અને સુચારુ જીવન જીવવાનું માર્ગદર્શન આપતું નૈતિક સંવિધાન છે. 'સનાતન ધર્મના અનુયાયીઓ નિરાશ નહીં થાય તેવું શાસન આવ્યું'કેન્દ્રીય ગૃહમંત્રીએ શિક્ષાપત્રીના 200 શ્લોકોનો મહિમા વર્ણવતા કહ્યું કે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની સાથે તેમાં વ્યવહાર પક્ષ ખૂબ મજબૂત છે. લખાણ વગર ધિરાણ ન કરવું કે કોઈના ઘરમાં પાછળના દરવાજેથી ન પ્રવેશવું જેવી નાની લાગતી વાતો પણ જીવનને અનુશાસિત બનાવે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હવે સનાતન ધર્મના અનુયાયીઓ ક્યારેય નિરાશ નહીં થાય તેવું શાસન આવ્યું છે, જેનું ઉત્તમ ઉદાહરણ રામ મંદિરનું નિર્માણ અને 370ની કલમ હટાવવી તે છે. '5 લાખ વૃક્ષ વાવવા અને કાયમી અન્નક્ષેત્રની જાહેરાત'મહોત્સવના પૂર્ણાહુતિ અવસરે સામાજિક જવાબદારીના મોટા સંકલ્પો લેવાયા હતા. જે અન્વયે કાલુપુર મંદિર દ્વારા આવતીકાલથી 5 લાખ વૃક્ષો વાવવાનું મહાઅભિયાન શરૂ થશે. જ્યારે 200 દિવસ સુધી 200 લોકોને જમાડવાનો સંકલ્પ હવે કાયમી ધોરણે 'અન્નક્ષેત્ર'માં પરિવર્તિત કરાશે. તો અહીં સોલાર પ્લાન્ટ થકી સૌર ઉર્જાથી પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જેની ગૃહમંત્રીએ ખાસ પ્રશંસા કરી હતી. 'જો ઘરથી જ શિક્ષાપત્રીના સંસ્કારોનું સિંચન થશે તો જ સાચો ઉત્સવ ઉજવાશે'સંતોના આશીર્વચન અને સન્માન આચાર્ય કૌશલ્યપ્રસાદજી મહારાજે જણાવ્યું હતું કે, જો ઘરથી જ શિક્ષાપત્રીના સંસ્કારોનું સિંચન થશે તો જ સાચો ઉત્સવ ઉજવાશે. જ્યારે લાલજી મહારાજ વ્રજેન્દ્રપ્રસાદજીએ આ સમૈયાની સફળતાનો શ્રેય સંતો અને હરિભક્તોના ટીમવર્કને આપ્યો હતો. મહોત્સવના શ્રેષ્ઠ આયોજન બદલ અમિત શાહે લાલજી મહારાજને મંચ પરથી સન્માનિત કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીને ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદ ભેટ સ્વરૂપે અર્પણઆ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિત અનેક મહાનુભાવો અને સ્વામિનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ સંતો ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવના અંતે કેન્દ્રીય ગૃહમંત્રીને ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદની અમૂલ્ય છાપ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી.
ગોધરામાં ABVPએ તિરંગા યાત્રા યોજી:કુલપતિ ડૉ. હરિભાઈ કાતરીયા સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ગોધરા નગર દ્વારા 27 જાન્યુઆરીના રોજ ગોધરા શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં યુવાઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન ગોધરાની એસ.પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતેથી થયું હતું. વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગા સાથે 'ભારત માતા કી જય'ના નારા લગાવ્યા હતા. યાત્રા શહેરના મુખ્ય માર્ગો જેવા કે અંકલેશ્વર મહાદેવ રોડ અને ગાંધીચોક વિસ્તારમાંથી પસાર થઈ હતી. આ યાત્રામાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. હરિભાઈ કાતરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે જોડાયા હતા. યાત્રા દરમિયાન નાગરિકોએ પણ આ આયોજનને આવકાર આપ્યો હતો. ABVP ના કાર્યકર્તાઓ અને કોલેજના વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ રીતે યાત્રાનું સંચાલન કર્યું હતું. આ તિરંગા યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાઓમાં રાષ્ટ્રવાદની ભાવના જાગૃત કરવાનો અને દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો હતો.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI અને LRDની સીધી ભરતી માટેની શારીરિક કસોટી 21 જાન્યુઆરીથી રાજ્યભરમાં શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયા 13 માર્ચ, 2026 સુધી ચાલશે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ અત્યાર સુધીમાં કુલ 1.35 લાખ ઉમેદવારોને શારીરિક કસોટી માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી 83 હજાર ઉમેદવારો હાજર રહ્યા હતા અને તેમાંના 35,500 ઉમેદવારો સફળતાપૂર્વક શારીરિક કસોટી પાસ કરી ચૂક્યા છે. દોડ દરમિયાન 2 ઉમેદવારોનું મોત દરમિયાન શારીરિક કસોટી દરમિયાન દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ પણ સામે આવી છે. અત્યાર સુધીમાં દોડ દરમિયાન 2 ઉમેદવારોનું મોત થયું છે. જ્યારે નડિયાદમાં એક ઉમેદવારને બ્લડ પ્રેશરની તકલીફ જણાતા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી અને તેને બીજા દિવસે ફરી પરીક્ષા આપવા બોલાવવામાં આવ્યો હતો. 3,000 ઉમેદવારોએ પરીક્ષાની તારીખ બદલવા રજૂઆત કરીઆ સાથે જ અંદાજે 3,000 ઉમેદવારોએ શારીરિક કસોટીની તારીખ બદલવા માટે રજૂઆત કરી હતી. બોર્ડે દરેક રજૂઆતનો વિચાર કરીને તમામ ઉમેદવારોની પરીક્ષાની તારીખમાં ફેરફાર કર્યો હોવાનું જણાવાયું છે. આ પણ વાંચો: LRDની રનિંગ ટેસ્ટ 25 મિનિટમાં પૂરી કરવા શું કરવું? 15 ગ્રાઉન્ડ પર શારીરિક કસોટી યોજાઈ રહી છેરાજ્યના 15 શહેરો અને જિલ્લાઓમાં આવેલા પોલીસ ટ્રેનિંગ સેન્ટર અને ગ્રાઉન્ડ પર શારીરિક કસોટી યોજાઈ રહી છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, જામનગર, મહેસાણા, વડોદરા, જુનાગઢ, ભુજ, હિમ્મતનગર (સાબરકાંઠા), બનાસકાંઠા, ગોધરા, નડિયાદ, ગોંડલ, વાવ અને સુરતનો સમાવેશ થાય છે. આ પણ વાંચો: રનિંગમાં પહેલા દિવસે 60 ટકા ઉમેદવારો ફેઈલ બાયોમેટ્રિક સિસ્ટમ, ફોટોગ્રાફી અને RFID ટેકનોલોજીનો ઉપયોગનાયબ પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ શારીરિક કસોટી લેવામાં આવી રહી છે. સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે બાયોમેટ્રિક સિસ્ટમ, ફોટોગ્રાફી અને RFID ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ તમામ કસોટી CCTV કેમેરાની નજર હેઠળ યોજાઈ રહી છે. કોઈપણ પ્રકારની ગુણરાખવાની પદ્ધતિ લાગુ નથીશારીરિક કસોટી બે તબક્કામાં લેવામાં આવે છે. પ્રથમ તબક્કામાં ઉમેદવારોની દોડની કસોટી લેવામાં આવે છે, જ્યારે દોડમાં પાસ થયેલા ઉમેદવારો માટે બીજા તબક્કામાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં માપ કસોટી થાય છે. શારીરિક કસોટીમાં કોઈપણ પ્રકારની ગુણરાખવાની પદ્ધતિ લાગુ કરવામાં આવતી નથી.
મોરબીમાં ઘરવિહોણા માટે નાઈટ ડ્રાઈવ યોજાઈ:16 લોકોને આશ્રયગૃહ પહોંચાડવામાં આવ્યા
મોરબીમાં મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ ઘરવિહોણા અને નિરાધાર લોકોને નિશુલ્ક રહેવા, જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડે છે. આ આશ્રયગૃહનું સંચાલન મોરબી નગરપાલિકા દ્વારા નિયુક્ત સિદ્ધિ ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા કરવામાં આવે છે. નિરાધારોને આશ્રય આપવાના હેતુથી, કમિશનર અને નાયબ કમિશનરના માર્ગદર્શન હેઠળ ગત રાત્રિએ નાઈટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ્ય ઠંડીની મોસમમાં ઘરવિહોણા લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર ન થાય તે સુનિશ્ચિત કરવાનો હતો. આ નાઈટ ડ્રાઈવ દરમિયાન, મોરબી શહેરમાં ફૂટપાથ પર રહેતા ઘરવિહોણા લોકોની સ્થળ પર મુલાકાત લેવામાં આવી હતી. તેમને કાઉન્સેલિંગ કરીને આશ્રયગૃહનો લાભ લેવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ પ્રયાસના ભાગરૂપે, કુલ ૧૬ ઘરવિહોણા નાગરિકોને તેમના પરિવાર સાથે આશ્રયગૃહ ખાતે સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મતદાર યાદીમાંથી ખોટી રીતે નામો દૂર કરવાના આક્ષેપોને લઈને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જેમાં આગામી કાર્યવાહીની રૂપરેખા ઘડવામાં આવી હતી. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે SIRની કામગીરી દરમિયાન ફોર્મ નંબર-07નો ખોટી રીતે ઉપયોગ કરીને ભરૂચ જિલ્લાની તમામ વિધાનસભા બેઠકો પરથી યોગ્ય મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે. આ મુદ્દે કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી “વોટ ચોર, ગદ્દી છોડ” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે ગુજરાતના તમામ જિલ્લાઓમાં એક-એક નિરીક્ષકની નિમણૂક કરવામાં આવી છે. આ અંતર્ગત ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં સમગ્ર મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને આગળની કાર્યવાહી અંગે નિર્ણયો લેવામાં આવ્યા. ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે ભાજપ દ્વારા યોગ્ય મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવા માટે કાવતરું રચવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે આ મુદ્દે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવશે અને જો જરૂર પડશે તો ન્યાયાલયના દ્વાર પણ ખખડાવવામાં આવશે. શેખે નાગરિકોને કોઈપણ પ્રકારના ગભરાટ કે ડર વિના પોતાના યોગ્ય પુરાવા સાથે બી.એલ.ઓ. સમક્ષ રજૂઆત કરવા આહ્વાન કર્યું હતું. બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, મીડિયા પ્રવક્તા નાઝુ ફડવાલા સહિત શહેર અને જિલ્લાના કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદના ACB પોલીસ મથકે ગુલબાઈ ટેકરા ખાતે આવેલી કોલેજ એમ. એમ. પટેલના ટ્રસ્ટી તિમિર અમીન અને વોચમેન મુરલી મનોહર ઝંડોલ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે મુજબ કોલેજના નિવૃત્ત ઇન્ચાર્જ પ્રિન્સિપાલે પેન્શન સહિતના લાભો મેળવવાની ફાઈલ ઉપર ટ્રસ્ટીના સહીની જરૂર હતી. જે માટે ટ્રસ્ટી તિમિર અમીને ફરિયાદી પાસેથી 5 લાખની લાંચ માંગી હતી. જેમાંથી 2 લાખ રૂપિયા તેણે અગાઉથી જ મેળવી લીધા હતા. જ્યારે બાકીના 3 લાખ રૂપિયા વોચમેન મુરલી મનોહર ઝંડોલને આપવા જણાવ્યું હતું. ACBએ છટકું ગોઠવી લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો હતોફરિયાદી બાકીની લાંચ આપવા માંગતા ન હોવાથી તેઓ એન્ટીકરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો. ACBએ છટકું ગોઠવતા આરોપી મુરલી મનોહર ઝંડોલ 3 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા, જ્યારે મુખ્ય આરોપી એવા ટ્રસ્ટી તિમિર અમીન ફરાર છે. કોર્ટે વકીલની દલીલ બાદ જામીન મંજૂર કર્યાઆરોપી ચોકીદારે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, જેમાં અરજદાર વતી એડવોકેટ પાર્થવીર ચારણે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, ચોકીદારે જે રકમ સ્વીકારી તે શેના માટે સ્વીકારી તેની જ તેને ખબર નહોતી. તેને ફક્ત ટ્રસ્ટીના આદેશનું પાલન કર્યું હતું. તે રકમમાંથી ચોકીદારનો કોઈ ભાગ ન હતો. હાઇકોર્ટે અરજદારની અરજી ગ્રાહી રાખીને જામીન મંજૂર કર્યા હતા.
ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું:વીજ લાઇનના વળતર સહિતની વિવિધ માંગણીઓ રજૂ કરી
જામનગરમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. આ આવેદનપત્રમાં ખાનગી કંપની 765kv લાઇન, વીજ પોલ દીઠ વળતર, અને જમીન સંપાદન કાયદા સંબંધિત વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. સમિતિએ માંગ કરી હતી કે ખાનગી 765kv લાઇનનો રૂટ સંપૂર્ણપણે બદલીને દરિયા કિનારે કિનારે લઈ જવામાં આવે. આ ઉપરાંત, પ્રત્યેક વીજ પોલ દીઠ 2 કરોડ રૂપિયા અથવા 2013ના જમીન સંપાદન કાયદા મુજબ માર્કેટ ભાવના ચાર ગણું વળતર આપવાની પણ રજૂઆત કરાઈ હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે વીજ પોલ 25-30 વર્ષ સુધી ખેતરમાં રહેવાનો હોવાથી, તેટલા વર્ષો સુધી ખેતરની ઘટતી કિંમતનો વળતરમાં સમાવેશ થવો જોઈએ. મોબાઈલ ટાવર કે પવનચક્કીની જેમ, વીજ પોલ દીઠ ખેડૂતોને માસિક-વાર્ષિક ભાડું પણ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આવેદનપત્રમાં 1885ના ધ ટેલિગ્રાફ એક્ટ રદ થઈ ગયો હોવા છતાં તેના મુજબ નોટિસ શા માટે આપવામાં આવે છે તેવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. સમિતિએ સવાલ કર્યો કે નવસારી કલેક્ટર માર્કેટ ભાવના 4 ગણું વળતર આપવાનો હુકમ કરી શકે છે, તો જામનગર કલેક્ટર આવો હુકમ કેમ નથી કરતા. ખેડૂતોએ એ પણ રજૂઆત કરી કે કલેક્ટર 1885ના ટેલિગ્રાફ એક્ટ મુજબ નોટિસ આપે છે, તો વળતર રાજ્ય સરકારના પરિપત્રો મુજબ શા માટે નક્કી કરે છે. જે કાયદા મુજબ નોટિસ આપવામાં આવે, તે જ કાયદા મુજબ વળતર પણ આપવામાં આવે તેવી સ્પષ્ટ માંગણી હતી. સમિતિએ ભારપૂર્વક જણાવ્યું કે કંપનીઓ વીજ લાઈનો પસાર કરીને કરોડો-અબજો કમાવાની છે, ત્યારે ખેડૂતોને નજીવું વળતર શા માટે મળે. તેમની મિલકત હોવા છતાં વળતર બીજું કોઈ શા માટે નક્કી કરે છે તેવો પ્રશ્ન પણ ઉઠાવ્યો. જો ખાનગી વીજ કંપનીઓ મફત વીજળી આપવાની હોય, તો ખેડૂતોને પણ વળતર નથી જોઈતું તેમ જણાવ્યું. ખેડૂતોએ સવાલ કર્યો કે કંપનીઓ તેમનો ધંધો કરવા માટે ખેડૂતોની મરજી વગર તેમની મિલકતનો ઉપયોગ કેવી રીતે કરી શકે. બંધારણે મિલકત ધારણ કરવાનો અધિકાર આપ્યો છે, પરંતુ સરકાર ખાનગી કંપનીઓ માટે તેના પર તરાપ મારે છે. કાયદા મુજબ ખેડૂતોને પોલીસ પ્રોટેક્શન મળવું જોઈએ, પરંતુ સરકાર ખાનગી કંપનીઓને આપે છે. કંપની દ્વારા કરેલ દરેક કાગળ ખેડૂતોને શા માટે આપવામાં આવતા નથી તેવો પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો. અંતે, સરકારે પૂરતું વળતર ન આપવું અને કંપનીના કાગળો ન આપવા એ સરકાર ખેડૂત તરફી છે કે કંપની માટે તેવો સવાલ કરવામાં આવ્યો.
બોટાદ SPએ નાગલપર ગામની મુલાકાત લીધી:DYSP-PI સાથે સરપંચો, આગેવાનો સાથે બેઠક યોજી
બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માએ બોટાદ તાલુકાના નાગલપર ગામની મુલાકાત લીધી હતી. તેમની સાથે DYSP મહર્ષિ રાવલ અને PI ખરાડી પણ જોડાયા હતા. આ મુલાકાત દરમિયાન ગામની ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચો, આગેવાનો અને ગ્રામજનો સાથે એક બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં ગામની શાંતિ-સુરક્ષા, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ લોકોની વિવિધ સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. ગ્રામજનોએ પોતાની રજૂઆતો કરી હતી, જેને જિલ્લા પોલીસ વડાએ ધ્યાનપૂર્વક સાંભળી જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. એસપી ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે પોલીસ અને જનતા વચ્ચે સુમેળભર્યો અને સમયસર સંપર્ક જળવાઈ રહે તે માટે પોલીસ કર્મચારીઓને સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત, ટ્રાફિક નિયમોના પાલન અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા, જેમાં ખાસ કરીને હેલ્મેટ પહેરવું અને વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ટાળવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સાયબર ક્રાઇમથી કેવી રીતે બચી શકાય તે અંગે પણ ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા. સગીર વયના બાળકોના ઘરેથી દૂર જતા રહેવાના બનાવોને ધ્યાનમાં રાખીને, માતા-પિતાને બાળકો સાથે સમય વિતાવવા, તેમના મિત્રો વિશે જાણવા અને તેમની પ્રવૃત્તિઓ પર ધ્યાન રાખવા સમજાવવામાં આવ્યું હતું, જેથી બાળકો કોઈ ગુનાનો ભોગ ન બને. આ વિલેજ વિઝીટનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ અને જનતા વચ્ચે વિશ્વાસ વધારવાનો તેમજ ગામમાં શાંતિ અને સુરક્ષા જાળવી રાખવાનો હતો, જેના પર મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.
ગોધરામાં ચાલુ બાઇકે ચક્કર આવતા મહિલા પટકાઈ:દાહોદ રોડ પર અકસ્માત, ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ દાખલ
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કોટડા ગામે એક મહિલા ચાલુ બાઇક પરથી ચક્કર આવતા નીચે પટકાઈ હતી. આ ઘટનામાં તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક ગોધરાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કોટડા ગામના રહેવાસી સુમિત્રાબેન બારીયા આજે સાંજે પોતાના જમાઈ સાથે બાઇક પર ગોધરા તરફ આવી રહ્યા હતા. ગોધરાના દાહોદ રોડ પરથી પસાર થતી વખતે અચાનક તેમને ચક્કર આવ્યા હતા. ચક્કર આવતા સુમિત્રાબેને બાઇક પરનું સંતુલન ગુમાવ્યું અને નીચે પટકાયા. આ અકસ્માતમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઘટના બાદ તેમને તાત્કાલિક ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સઘન સારવાર ચાલી રહી છે.
ધનસુરા તાલુકાના વડાગામ ખાતે આવેલી ITI માં ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ પરમારને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ પરમાર, ITI ના ચેરમેન પ્રદ્યુમનસિંહ જાડેજા, આચાર્ય દીપકભાઈ રાઠવા, પૂર્વ ચેરમેન ઉદુભ લખુભા જાડેજા, ITI નો તમામ સ્ટાફ, રાજુભાઈ રાવલ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવની શરૂઆત વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લઈને કરી હતી. વડાગામ ITI ખાતે આ ખેલ મહોત્સવ ત્રણ દિવસ સુધી ચાલશે.
બગદાણાના કોળી યુવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા પ્રકરણમાં માયા આહીરના પુત્ર જયરાજ આહીર સામે ગુનો નોંધી ધરપકડ કરાયા બાદ પણ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો. જયરાજ આહીર સામેની કાર્યવાહી બાદ પણ સમસ્ત કોળી-ઠાકોર સમાજે 1 ફેબ્રુઆરીએ ભાવનગરમાં ન્યાય સભા યોજવાની જાહેરાત કરી છે. જીતુ વાઘાણીના મત વિસ્તારમાં આયોજીત આ ન્યાય સભા માટે શહેરના અલગ અલગ 200 સ્થળે બેનર લગાવવામાં આવ્યા છે. કોળી સમાજના સાંસદ અને ધારાસભ્યોને પણ ન્યાય સભામાં હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કોળી સમાજના વિસ્તારમાં 200 જેટલા બેનર લાગ્યાનવનીત બાલધિયાના સમર્થનમાં આગામી તા.1 ફેબ્રુઆરીના રોજ કેબિનેટમંત્રી જીતુભાઇ વાઘાણીના મત વિસ્તારમાં જે કોળી સમાજ મતદારો મોટી સંખ્યામાં વસવાટ કરે છે તે વિસ્તારમાં કોળી સમાજ દ્વારા જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.સભા સ્થળ મંડપ નાખવાની કામગીરી ચાલી રહી છે.તદઉપરાંત શહેરમાં જે જે સ્થળોએ કોળી સમાજ વસવાટ કરી રહ્યો છે જેમાં હાદાનગર, મેપાનગર, સત્યનારાયણ સોસાયટી, બોરતળાવ મફતનગર, ગણેશ ગઢ, બાનુબેનની વાડી કુંભારવાડા, નારીગામ, ફુલસર, સતનામ ચોક, રામદેવનગર કુંભારવાડા સહિતના અનેક વિસ્તારોમાં 200 થી વધુ સમસ્ત કોળી - ઠાકોર સમાજ ન્યાય સભા આયોજિતના બેનરો લગાવામાં આવ્યા.છે. નવનીત બાલધિયાને ન્યાય મળે એ માટે સભાનું આયોજન- હિરેન વાઘેલાઆ અંગે કોળી સમાજના યુવા આગેવાન હિરેન વાઘેલાએ જણાવ્યું હતું કે ન્યાય સભાનું આયોજન છે. જેના અનુસંધાને રોજ રાત્રિના ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં મીટીંગો કરી લોકોને આ ન્યાય સભામાં આવવા આહવાન કર્યું છે. અમારો એક જ ધ્યેય છે કે અમારા સમાજના નવનીત ભાઈ સાથે અન્યાય થયો છે એને ન્યાય મળે.જે સભામાં શહેર જિલ્લામાંથી બહોળી સંખ્યામાં લોકો આવશે. આ ન્યાય સભામાં બધા ધારાસભ્યો અને સાંસદ સભ્યોને આમંત્રણ પાઠવ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે આ બગદાણા પ્રકરણમાં પોલીસનો મુખ્ય રોલ છે, ડી.વી. ડાંગર, ઝાલા સાહેબ, પટેલ સાહેબ, સૌથી મોટી ભૂમિકા તો એમની જ છે એમની ઉપર પગલાં લેવાના છે. કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી પર આક્ષેપકેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આમાં ક્યાંક ને ક્યાંક જીતુ વાઘાણીનો રોલ છે.શરૂઆતમાં માયાભાઇનો અને અમારા સમાજના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયાનો ફોટો વાયરલ કર્યો હતો. ત્યારબાદ અમારા સમાજના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી છે એમનો ફોટો વાયરલ કર્યો હતો. આમ જીતુ વાઘાણીનું એક જ છે કે આ સમાજમાં ભાગલા પડવાની જે એની નીતિ છે. કોઈપણ અમારા સમાજ ઉપર અત્યાચાર કરશે ત્યારે અમે ભાજપ, કોંગ્રેસ, આપ મૂકીને અમે બધા એક જ છીએ એવું સાબિત કરી દેખાડીશું.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા ઉપરની તસવીર ક્લિક કરો.
છોટા ઉદેપુર જિલ્લાના સુસ્કાલ ખાતે એક રેતીના સ્ટોકમાં રગડો કાઢતી વખતે કરંટ લાગવાથી એક સગીરનું મોત થયું છે. આ ઘટનામાં સગીરના બે ભાઈઓનો આબાદ બચાવ થયો હતો. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, છોટા ઉદેપુર જિલ્લામાં રેતીના ગેરકાયદેસર સ્ટોક અને કામગીરીને કારણે અકસ્માતો બનતા રહે છે. સુસ્કાલ ખાતેનો આ કિસ્સો પણ રેતીના સ્ટોક ધારકોની બેદરકારીના કારણે બન્યો હોવાનું મનાય છે. આ ઘટના સુસ્કાલ ખાતે મીરા એન્ટરપ્રાઈઝ નામના રેતીના સ્ટોક પર બની હતી. અહીં રેતી ધોવાની કામગીરી ચાલી રહી હતી. ગોધરા નજીકના ત્રણ ભાઈઓ આ સ્ટોક પર કામ કરતા હતા. ગઈકાલે, રેતી ધોતી વખતે કાદવ (રગડો) કાઢવા માટે તેઓ આશરે સાત ફૂટ ઊંડા કૂવામાં ઉતર્યા હતા. તે સમયે મોટર ચાલુ હતી. કૂવામાં ઉતર્યા બાદ અચાનક કરંટ લાગતા એક સગીરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અન્ય બે ભાઈઓને પણ કરંટ લાગ્યો હતો, પરંતુ તેઓ કૂવાની પાળી પકડીને ઊંચા થઈ જતા તેમનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતા મીરા એન્ટરપ્રાઈઝના માલિકે તાત્કાલિક સગીરને બોડેલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. માલિક દ્વારા પરિવારજનોને જાણ કરાતા તેઓ તાત્કાલિક બોડેલી પહોંચ્યા હતા. આજે બોડેલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જોકે, પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે, જેના કારણે પરિસ્થિતિ તંગ બની છે.
મોરબીમાં જુગારના બે દરોડા:10 શખ્સો ઝડપાયા, માધાપર અને સર્કિટ હાઉસ સામેથી રોકડ સાથે ધરપકડ
મોરબી પોલીસે જુગાર વિરુદ્ધ કાર્યવાહી કરતા બે જુદા જુદા સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં કુલ 10 શખ્સોને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓની ધરપકડ કરીને કુલ ₹58,700 રોકડા જપ્ત કર્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રથમ દરોડો મોરબીના માધાપર શેરી નંબર-4 માં મુનાવરખાન યુસુફખાનના રહેણાંક મકાનમાં પાડવામાં આવ્યો હતો. અહીંથી ઘરધણી મુનાવરખાન યુસુફખાન યુસુફઝઈ (45), તેનો પુત્ર સાજીદખાન મુનાવરખાન યુસુફઝઈ (19), દાઉદભાઈ ગનીભાઈ પીપરવાડિયા (44), રવિભાઈ દેવાભાઈ ડાભી (19), વિમલભાઈ ઉર્ફે વિપુલ નટુભાઈ સોલંકી (48), હનીફભાઈ હુસેનભાઇ દિવાન (42) અને વિપુલભાઈ ઉર્ફે ડબલી રામભાઈ ગરીયા (28) ને જુગાર રમતા ઝડપી લેવાયા હતા. પોલીસે તેમની પાસેથી ₹25,500 રોકડા જપ્ત કરી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. બીજો દરોડો મોરબીમાં સર્કિટ હાઉસ સામેના ભારતપરા મફતિયાપરામાં જાહેરમાં જુગાર રમતા શખ્સો પર પાડવામાં આવ્યો હતો. આ સ્થળેથી રાજુભાઈ સવસીભાઈ દેલવાણીયા (19), પ્રતાપભાઈ સવસીભાઈ દેલવાણીયા (28) અને અર્જુનભાઈ વિરમભાઈ કુંઢીયા (20) ને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી ₹33,200 રોકડા કબજે કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે.
અમદાવાદના ઐતિહાસિક ગણાતા એવા ત્રણ દરવાજાથી લઈ પાનકોરનાકા સુધી રોડ ઉપર ગેરકાયદેસર રીતે કેટલાક પાથરણાંવાળાઓ બેસી જતા હોવાના કારણે દુકાનદાર વેપારીઓને ધંધો થતો નથી અને ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, એવી ફરિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. જેના પગલે આજે 27 જાન્યુઆરીના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્રણ દરવાજાથી પાનપુરનાકા સુધીના ગેરકાયદેસર બેસતા પાથરણાંવાળાના દબાણો હટાવી લેવાયા હતાં. જોકે પોલીસ દ્વારા વેપારીઓએ તેમની દુકાન આગળ તેમના જ પાર્ક કરેલા વાહનોને ટ્રાફિક થતું હોવાના નામે ત્યાંથી ઉઠાવી લેવામાં આવ્યા હતાં. જેના પગલે લોકોએ પોતાની દુકાન બંધ કરી વિરોધ દર્શાવ્યો હતો. વેપારીઓએ દુકાનો બંધ કરીને વિરોધ નોંધાવ્યોસ્થાનિક વેપારી ઝુઝારભાઈએ જણાવ્યું હતું કે, ત્રણ દરવાજાથી પાનકોરનાકા સુધી દુકાનો આગળ પાથરણાંવાળાઓ બેસી જતા હતા, જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસમાં અરજી કરી હતી. પોલીસે ત્રણ દરવાજાથી પાનકોર નાકા સુધી જે વેપારીઓ છે તેમના વાહનો પણ અહીંયા પાર્કિંગ નથી એમ કહીને ઉઠાવી લીધા છે. જો પાર્કિંગ હોય તો તેના પુરાવા લઈ આવો:PIતેને વધુમાં કહ્યું કે, જે અંગે સ્થાનિક વેપારીઓ દુકાનો બંધ કરી કારંજ પોલીસ સ્ટેશનમાં ભેગા મળી રજૂઆત કરવા ગયા હતા, ત્યારે પોલીસ અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ત્યાં પાર્કિંગ નથી. અમે રજૂઆત કરી હતી કે છેલ્લા 70 વર્ષથી અહીંયા ધંધો કરીએ છીએ અને અમારું અહીંયા પાર્કિંગ છે જ. ત્યારે પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, જો પાર્કિંગ હોય તો તેના પુરાવા લઈ આવો. સ્થાનિક વેપારીઓ દુકાન બંધ કરી અને ત્યાં રજૂઆત કરવા ગયા હતા આ બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ જઈશું. ‘પાર્કિંગના બોર્ડ લગાવેલા છે છતાં વાહનો ઉપાડી લેવામાં આવ્યા’વેપારીએ વધુમાં જણાવ્યું હતું કે, આ જગ્યા ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાર્કિંગના બોર્ડ લગાવેલા જ છે તેમ છતાં પણ અહીંયાથી વાહનો ઉપાડી લેવામાં આવ્યા છે. પોલીસને રજૂઆત કરવામાં આવી છે.
હિંમતનગર-વિજાપુર સ્ટેટ હાઈવે પર ગંભીર અકસ્માતની ઘટના બની હતી. રસ્તો ક્રોસ કરી રહેલી મહિલાને ઈકો કારે ફૂટબોલની જેમ ફંગોળી હતી. જેથી ગંભીરઈજા પહોંચતા મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ મહિલા ચાર માસની ગર્ભવતી હોવાનું પણ સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં હિંમતનગર ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતની ઘટના CCTVમાં પણ કેદ થઈ છે. આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, હિંમતનગર-વિજાપુર હાઈવે પર સમરસ હોસ્ટેલ સામેથી રોડ ક્રોસ કરી રહેલા 37 વર્ષીય સાદેકાબાનું સાહબુદ્દીન મામુને હિંમતનગરથી વિજાપુર તરફ જઈ રહેલી ઇકો કારે ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, સાદેકાબાનું રસ્તા પર ફૂટબોલની જેમ ફંગોળાઈ ગયા હતા. જે બાદ રોડ પર ઘસડાઈ જતાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ હિંમતનગર ગ્રામ્ય પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના PI એચ.આર. હેરભાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, મૃતક મહિલાનું નામ સાદેકાબાનું સાહબુદ્દીન મામુ હતું અને તેઓ હિંમતનગરના પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં અંબર સિનેમા રોડ પર કેસર વિલાસ પાસે રહેતા હતા. તેમના આધાર કાર્ડ પરથી આ માહિતી મળી હતી. પીઆઈએ પુષ્ટિ કરી હતી કે, મહિલા ચાર માસની ગર્ભવતી હતી. ઇકો કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અકસ્માતના આ સમાચાર પણ વાંચોઅરવલ્લીમાં હાઇવે ક્રોસ કરતાં યુવકને કારે ટક્કર મારતા હવામાં ફંગોળાઈને દૂર જઈ પડ્યો અરવલ્લી જિલ્લાના ધનસુરા-બુટાલ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી. ધનસુરા શીતકેન્દ્ર પાસે રસ્તો ઓળંગતી વખતે એક યુવક પુરપાટ ઝડપે આવતી કારની અડફેટે આવી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે જોઈને કોઈ પણના રુંવાડા ઉભા થઈ જાય તેમ છે. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો) વડોદરામાં આગળ ચાલીને જઈ રહેલા યુવકને ક્રેનચાલકે કચડી માર્યો, CCTV વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં એક રાહદારીનું ક્રેન અડફેટે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ક્રેન ડ્રાઇવરની અટકાયત કરી છે. આ અકસ્માતની ઘટનાના હચમચાવતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જોઈ શકાય છે કે યુવક પોતાની ધૂનમાં ચાલીને જઈ રહ્યો છે અને અચાનક પાછળથી આવતી ક્રેને યુવકને અડફેટે લઈ કચડી નાખ્યો હતો. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો) ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટરે MG હેકટરથી 3 વાહનને અડફેટે લીધાં વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં ગત 26 જાન્યુઆરીની મોડીરાત્રે પૂર્વ ભારતીય ક્રિકેટર જેકોબ જોસેફ માર્ટિને દારૂના નશામાં લક્ઝરી કાર બેફામ ચલાવીને અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં તેણે પાર્કિંગમાં ઊભેલી ત્રણ કારને ટક્કર મારીને નુકસાન પહોંચાડ્યું હતું. અકોટા પોલીસે આ મામલે ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ અકસ્માત અંગે અલગ-અલગ ગુના નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)
મોરબી જલારામ ધામ દ્વારા 285 અસ્થિઓનું વિસર્જન:સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામૂહિક વિધિ સંપન્ન
મોરબી જલારામ ધામ અને જલારામ સેવા મંડળ દ્વારા સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે 285 દિવંગતોના અસ્થિઓનું સામૂહિક વિસર્જન કરવામાં આવ્યું હતું. આમાં 15 બિનવારસી મૃતદેહોના અસ્થિઓનો પણ સમાવેશ થાય છે. જલારામ ધામ અને શ્રી જલારામ સેવા મંડળ બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરાવે છે. ત્યારબાદ તેમના અસ્થિઓનું સોમનાથ ત્રિવેણી સંગમમાં સામૂહિક વિસર્જન કરવામાં આવે છે. સંસ્થા એવા સ્વજનોના અસ્થિઓનું વિસર્જન પણ કરે છે જેઓ પોતે વિસર્જન કરી શક્યા ન હોય. આ વિસર્જન પહેલા મોરબી વિદ્યુત સ્મશાન ખાતે શાસ્ત્રી રસિકલાલ ખેલશંકરભાઈ વ્યાસ દ્વારા અસ્થિઓની શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી. ગઇકાલે સોમનાથના ત્રિવેણી સંગમમાં સામૂહિક અસ્થિ વિસર્જન કરાયું હતું. કુલ 285 અસ્થિઓમાં 15 બિનવારસી, 70 વિદ્યુત સ્મશાનના અને સંસ્થાના અસ્થિ કુંભમાંથી 200 અસ્થિઓનો સમાવેશ થાય છે. આ ધાર્મિક કાર્યમાં ગીરીશભાઈ ઘેલાણી, કિશોરભાઈ ચંડીભમર, હિતેશભાઈ જાની, ભાવિનભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ અને જયંતભાઈ રાઘુરા સહિતના આગેવાનો જોડાયા હતા.
મહેસાણા શહેરના રામોસણા બ્રિજ પાસે સર્વિસ રોડ પર ગત રાત્રિના સુમારે બે સ્કોર્પિયો ગાડીઓ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. આ મામલે ઊંઝા તાલુકાના કંથરાવી ગામના વૃદ્ધે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે બેદરકાર ગાડી ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. લગ્ન પ્રસંગમાં જવા નીકળ્યાના ને અકસ્માતઊંઝાના કંથરાવી ગામે રહેતા 64 વર્ષીય પ્રવીણભાઈ પરમાર પાટણ ખાતેથી તેમના સંબંધીના દીકરાના લગ્ન પ્રસંગમાં જાનમાં ગયા હતા. લગ્ન પ્રસંગ પૂર્ણ કરી રાત્રિના આશરે સાડા સાત વાગ્યાના સુમારે તેઓ અન્ય સાથીદારો સાથે સ્કોર્પિયો ગાડીમાં બેસી પાટણ જવા નીકળ્યા હતા. સ્કોર્પિયો ચાલકે પૂરઝડપે આવીને આગળની સ્કોર્પિયો ગાડીને ટક્કર મારીતે દરમિયાન રામોસણા ચોકડીથી ઊંઝા તરફ જવાના માર્ગે સર્વિસ રોડથી મેઈન હાઈવે પર ચઢતી વખતે આગળ બમ્પ આવ્યો હતો. બમ્પ આવતા આગળ ચાલી રહેલી અન્ય એક સ્કોર્પિયોના ચાલકે બ્રેક મારી હતી. જોકે પાછળ આવી રહેલી સ્કોર્પિયોના ચાલકે પોતાની ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આગળ જતી ગાડીને જોરદાર ટક્કર મારી હતી. બે સ્કોર્પિયો ગાડીના અકસ્માતમાં ત્રણને ઈજાઆ ટક્કરને કારણે ગાડીમાં સવાર સોલંકી ઉત્તમભાઈને ડાબા હાથે, ફરિયાદ કરનાર પ્રવીણભાઈને કપાળ તથા કોણીના ભાગે અને વણકર અરવિંદભાઈને જમણા પગે ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જીને ઈજાઓ પહોંચાડનાર સ્કોર્પિયો ચાલક વિરુદ્ધ પ્રવીણભાઈએ ધોરણસરની કાર્યવાહી કરવા પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હથિયારો-વિસ્ફોટક દારૂગોળા સાથે આતંકીની ધરપકડ ગુજરાત એટીએસે નવસારીથી જૈશ-એ મહોમ્મદ અને અલ કાયદા સાથે સંકળાયેલા આતંકી ફૈઝાન શેખની ધરપકડ કરી.. આતંકી પાસેથી હથિયારો અને વિસ્ફોટકો પણ મળી આવ્યા છે. ચોક્કસ સમુદાય પર હુમલો કરી રાજ્યમાં અરાજકતા ફેલાવવાનો કારસો ઘડી રહ્યો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વધુ એક મુસ્લિમ કલાકારનું નામ કાઢી નાખવાનો પ્રયાસ શાહબુદ્દીન રાઠોડ બાદ વધુ એક મુસ્લિમ કલાકારનું નામ મતદાર યાદીમાંથી કાઢવાનો કારસો. જૂનાગઢમાં ભાજપ નેતાએ પદ્મશ્રી હાજી રમકડુંનું નામ કાઢી નાખવા ફોર્મ નં 7 ભરી, અરજી કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દર શનિવારે રજાની માગ સાથે હડતાળ ફાઈવ ડેઝ અ વીકની માગ સાથે આજે રાજ્યભરમાં 15000 બેંક કર્મીઓ હડતાળ પર ઉતર્યા.બેંક કર્મીઓનું કહેવું છે કે શનિ-રવિ રજાથી ગ્રાહક સેવાને કોઈ અસર નહીં પડે..જો માગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અડધી રાત્રે મળ્યું ઠાકોર સમાજનું સંમેલન ગાંધીનગરમાં મોડી રાત્રે ઠાકોર સમાજના મહાસંમેલનમા ભાજપના અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના ગેનીબેન એક સ્ટેજ પર દેખાયા. અલ્પેશે ઠાકોરે રાજનીતિમાં કંઈ આપી નહીં શકું તો રાજનીતિ છોડી દેવાની વાત કરી.. ગેનીબેને સમાજના લોકોને પટાવાળા અને સિક્યોરિટીને બદલે IAS-IPS બનવા હાકલ કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કોળી સમાજની બેઠકમાં હીરા સોલંકીનો હુંકાર સુરતમાં કોળી સમાજની બેઠકમાં હીરા સોલંકીએ નવનિત બાલધિયા પર થયેલા હુમલા મામલે ચેતવણી આપી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સૌરાષ્ટ્રના ત્રણ શહેર-જિલ્લા પ્રમુખ બદલાય તેવી શક્યતા સૌરાષ્ટ્રમાં રાજકોટ -મોરબી અને સુરેન્દ્રનગરના ભાજપ શહેર- જિલ્લા પ્રમુખો બદલાઈ શકે છે. રાજકોટમાં અલ્પેશ ઢોલરિયા અને માધવ દવેનું પદ જવાની ચર્ચા છે. મોરબીના પ્રમુખ જેન્તી રાજકોટિયાને દેવાના વિવાદને લઈને પદ છોડવું પડી શકે છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પૂર્વ ક્રિકેટરે નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિને દારુના નશામાં એક્સિડેન્ટ કર્યો. હેક્ટર ગાડીથી પાર્કિંગમાં ઉભેલા ત્રણ વાહનોને ટક્કર મારી.. પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને અકસ્માતના બે ગુના નોંધ્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નેપાળની જેલમાંથી ભાગેલો આરોપી ઝડપાયો નેપાળની જેલમાંથી Gen-Z આંદોલન સમયે ફરાર આરોપી અમદાવાદમાંથી પકડાયો. આરોપી તેની સાસુના ઘરે છુપાયેલો હતો. આરોપીની સાસુ લિસ્ટેડ બુટલેગર છે.આરોપીનો કબજો સેન્ટ્રલ એજન્સીને સોંપાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ક્રેન ચાલકે ટક્કર મારતા રાહદારીનું મોત વડોદરામાં મકરપુરા વિસ્તારમાં ક્રેન ચાલકે રાહદારીને કચડ્યો..ક્રેનના તોતિંગ પૈંડા ફરી વળતા રાહદારીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચાલુ રિક્ષામાં ચાલકને હાર્ટ એટેક આવ્યો વડોદરાના રાજમહેલ રોડ પર ચાલુ રિક્ષામાં ચાલકને હાર્ટ એટેક આવ્યો...હોસ્પિટલ પહોંચતા પહેલા જ ચાલકનું મોત નીપજ્યું ઘટનાસ્થળે પહોંચેલી માતાના આક્રંદે સૌની આંખો ભીની કરી દીધી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
વલસાડ જિલ્લામાં વાહનોમાં બહારથી LED લાઈટો લગાવનારા ચાલકો સામે RTO દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાત્રિના સમયે થતા માર્ગ અકસ્માતોમાં મોટાભાગે આવી LED લાઈટો કારણભૂત હોવાનું એક સર્વેમાં સામે આવ્યું હતું. આથી, રાજ્ય સરકારના નવા પરિપત્ર મુજબ, રસ્તાઓ પર સફેદ LED લાઈટો લગાવીને ફરતા વાહનચાલકો સામે કડક પગલાં લેવાના આદેશ અપાયા છે. વલસાડ RTO દ્વારા આ મામલે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કંપની ફિટિંગ LED લાઈટવાળા વાહનચાલકો સામે કોઈ કાર્યવાહી નહીં થાય, પરંતુ કારમાં બહારથી ફિટ કરેલી LED લાઈટના વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. RTO દ્વારા વિવિધ સ્થળોએ ચેકપોસ્ટ બનાવી વાહન ચેકિંગ શરૂ કરાયું છે. વલસાડના એ.એલ.ટી.ઓ. એન. એચ. ગજેરાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા 21મી જાન્યુઆરી 2026ના રોજ જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, કંપની ફિટિંગ સિવાયની વધારાની મોડિફાઈડ LED લાઈટો લગાવવી એ ગુનો છે. કંપની દ્વારા અપાતી લાઈટો ARAI દ્વારા પ્રમાણિત હોય છે, જ્યારે બહારથી લગાવેલી તીવ્ર LED લાઈટો સલામતીના ધોરણોનું પાલન કરતી નથી. આ કાર્યવાહી પાછળનો મુખ્ય હેતુ માર્ગ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. રાત્રિના સમયે સામેથી આવતા વાહનચાલકોની આંખો આવી તીવ્ર લાઈટોથી અંજાઈ જવાથી 'બ્લેક આઉટ'ની સ્થિતિ સર્જાય છે, જેના કારણે ગંભીર અકસ્માતો થવાનો ભય રહે છે. RTO એ સ્પષ્ટ કર્યું છે કે આ નિયમ માત્ર ખાનગી વાહનો માટે જ નહીં, પરંતુ સરકારી ગાડીઓ, ટુ-વ્હીલર, ફોર-વ્હીલર અને હેવી ગુડ્સ વ્હીકલ સહિતના તમામ પ્રકારના વાહનોને લાગુ પડે છે. જો કોઈ પણ વાહનમાં મોડિફાઈડ LED લાઈટ મળી આવશે, તો સ્થળ પર જ દંડ વસૂલવામાં આવશે. વલસાડ RTO ની ટીમો બગવાડા ટોલ પ્લાઝા (અપ-ડાઉન), તલવાડા ચેક પોઈન્ટ અને કપરાડા-ધરમપુર રોડ જેવા વિસ્તારોમાં 24 કલાક ચેકિંગ કરી રહી છે. RTO એ વલસાડ જિલ્લાના તમામ વાહનચાલકોને અપીલ કરી છે કે જો તેમણે પોતાના વાહનમાં વધારાની LED લાઈટો લગાવી હોય, તો તેને તાત્કાલિક દૂર કરાવી લે, અન્યથા કાયદેસરની કાર્યવાહી માટે તૈયાર રહે.
પાટણ જિલ્લામાંથી પસાર થતા રાધનપુર-પાટણ-ચાણસ્મા નેશનલ હાઈવે 68 પર પાટણથી સાઈબાબા મંદિર થઈ મોતીશા દરવાજા સુધીનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. આ માર્ગના સમારકામ માટે પાટણ નગરપાલિકા ચેરમેન દ્વારા કાર્યપાલક ઈજનેરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. નેશનલ હાઈવે 68ના આ સેક્શનમાં વરસાદને કારણે ઠેર ઠેર મસમોટા ખાડા પડી ગયા છે. આ માર્ગ વર્લ્ડ હેરિટેજ સાઈટ રાણીની વાવ તરફ જતો મુખ્ય રસ્તો હોવાથી તેનું મહત્વ વધુ છે. બિસ્માર રસ્તાને કારણે દેશ-વિદેશના પ્રવાસીઓ તેમજ સ્થાનિક વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે અને નાના વાહનો તેમજ ટુ-વ્હીલર ચાલકો ખાડાઓના કારણે ટ્રાફિક જામની સમસ્યામાં ફસાય છે. અગાઉ માર્ગ અને મકાન વિભાગ (નેશનલ હાઈવે) ને આ બાબતે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં આજદિન સુધી કોઈ સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી નથી, જેના કારણે વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે પાટણ નગરપાલિકાના ચેરમેન દેવચંદભાઈ એસ. પટેલે અમદાવાદ સ્થિત કાર્યપાલક ઈજનેરને પત્ર લખી તાકીદે સમારકામની માંગ કરી છે. આ પત્રની નકલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માર્ગ અને મકાન મંત્રી સંજયસિંહ મયડા તેમજ મુખ્ય ઈજનેરને પણ મોકલી આપવામાં આવી છે. તંત્ર દ્વારા સત્વરે આ રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે, જેથી ટ્રાફિકની સમસ્યા હળવી થઈ શકે અને પ્રવાસીઓ તથા સ્થાનિકોને રાહત મળે.
વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રતિભા, તર્કશક્તિ અને સમજણની કસોટી કરવા રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે આયોજિત થતી પ્રખરતા શોધ કસોટીના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં આવતી કાલે બુધવારે ધોરણ-9માં અભ્યાસ કરતા કુલ 2,567 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઓળખી તેમને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહન અને યોગ્ય માર્ગદર્શન આપવાનો મુખ્ય હેતુ આ પરીક્ષાનો છે. ભરૂચ જિલ્લામાં આ પરીક્ષાનું આયોજન ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયા તાલુકાના કુલ 10 પરીક્ષા કેન્દ્રો પર કરવામાં આવ્યું છે, જ્યાં વિદ્યાર્થીઓ માટે 86 બ્લોકમાં વ્યવસ્થિત બેઠક વ્યવસ્થા કરાઈ છે. પરીક્ષાનું સુચારુ અને પારદર્શક આયોજન થાય તે માટે વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા વ્યાપક તૈયારી કરવામાં આવી છે. આ પરીક્ષા વ્યવસ્થાપન માટે 10 કેન્દ્ર સંચાલક, 10 સુપરવાઇઝર, 86 ખંડ નિરીક્ષક તેમજ 19 સેવક સહિત કુલ 125 જેટલા કર્મચારીઓ ફરજ પર તૈનાત રહેશે. પરીક્ષાનો સમય પ્રશ્નપત્ર-1 માટે સવારે 11 થી 1 વાગ્યા સુધી અને પ્રશ્નપત્ર-2 માટે બપોરે 2 થી 4 વાગ્યા સુધીનો નક્કી કરવામાં આવ્યો છે. પ્રખરતા શોધ કસોટીમાં મેરિટમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને સરકાર તરફથી ધોરણ-9થી ધોરણ-12 દરમિયાન દર વર્ષે રૂ.12,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે, જેના કારણે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક સહાય મળશે અને તેમની પ્રતિભાને વધુ પ્રોત્સાહન મળશે. તાલુકાવાર વિદ્યાર્થીઓની સંખ્યા નીચે મુજબ છેઅંકલેશ્વર તાલુકામાંથી 3 કેન્દ્રો પર 25 બ્લોકમાં 744 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ભરૂચ તાલુકામાંથી 4 કેન્દ્રો પર 39 બ્લોકમાં 1,170 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ઝઘડિયા તાલુકામાંથી 3 કેન્દ્રો પર 22 બ્લોકમાં 653 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.
ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત નાના વેપારીઓ અને શેરી ફેરિયાઓને આર્થિક રીતે સધ્ધર બનાવવાના હેતુથી લોન વિતરણ અને જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 29 લાભાર્થીઓને કુલ રૂ. 7.60 લાખની લોન સહાયના ચેક મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ પહેલ સરકારની 'આત્મનિર્ભર ભારત'ની સંકલ્પનાને સાકાર કરે છે. લોન વિતરણની પ્રક્રિયા વિવિધ તબક્કાઓમાં વહેંચીને સહાય પૂરી પાડવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં 14 લાભાર્થીઓને રૂ. 15,000 લેખે, બીજા તબક્કામાં 8 લાભાર્થીઓને રૂ. 25,000 લેખે અને ત્રીજા તબક્કામાં 7 લાભાર્થીઓને રૂ. 50,000ની લોન એનાયત કરવામાં આવી હતી. આ યોજનાની પારદર્શિતા અને પ્રોત્સાહન નીતિ મુજબ, જે વેપારીઓ સમયસર લોનની ચૂકવણી કરે છે તેમને ક્રમશઃ બીજા અને ત્રીજા તબક્કે વધુ રકમની લોન આપવાની જોગવાઈ છે. નગરપાલિકાના DAY-NULM વિભાગના પ્રોજેક્ટ મેનેજર અને સ્ટાફ દ્વારા ફોર્મ ભરવાથી લઈને લોન મંજૂરી સુધીની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી હતી. વધુમાં, લાભાર્થીઓને ડિજિટલ ઇન્ડિયા અભિયાન સાથે જોડીને ડિજિટલ વ્યવહાર કરવા બદલ બેંક મારફત કેશબેકની વિશેષ સુવિધા પણ ઉપલબ્ધ કરાવી આર્થિક સુધારાની પ્રક્રિયાને વેગવંતો બનાવવામાં આવ્યો છે. પી.એમ. સ્વનિધિ – પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના એ કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય કોરોના કાળ બાદ આર્થિક સંકડામણ અનુભવતા શેરી ફેરિયાઓ અને નાના લારી-ગલ્લા ધારકોને કોઈ પણ પ્રકારની જામીનગીરી વગર વર્કિંગ કેપિટલ લોન પૂરી પાડવાનો છે. આ પહેલ દ્વારા નાના વેપારીઓને સત્તાવાર બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડવામાં આવ્યા છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને લાભાર્થીઓએ વડાપ્રધાનના રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓનું માર્ગદર્શન મેળવ્યું હતું. આ તકે ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, નગરપાલિકાના સભ્યો, પદાધિકારીઓ તેમજ DAY–NULM યોજનાના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
ડાયમંડ સિટી સુરતમાં અત્યારે રમતગમત અને ગ્લેમરનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. શહેરના પ્રખ્યાત લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)એ ફેન્સમાં ભારે ઉત્તેજના જગાવી છે. આગામી દિવસોમાં બોલિવૂડના સુપરસ્ટાર્સ પોતાની ટીમોનો ઉત્સાહ વધારવા માટે સુરતની મુલાકાત લેવાના છે. કયા સ્ટાર્સ ક્યારે આવશે?સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, ફેબ્રુઆરીની શરૂઆત સુરતીઓ માટે ખૂબ જ રોમાંચક રહેવાની છે. 30 જાન્યુઆરીએ બોલિવૂડના 'ભાઈજાન' સલમાન ખાન સુરત આવશે. 31 જાન્યુઆરીએ ગ્રીક ગોડ તરીકે જાણીતા હૃતિક રોશન હાજરી આપશે. 1 ફેબ્રુઆરીએ પટૌડી ખાનદાનના સૈફ અલી ખાન અને કરીના કપૂર સ્ટેડિયમની શાન વધારશે. સિતારાઓની પોતાની ટીમને પ્રોત્સાહન આપવા હાજરી આપશેISPLમાં કુલ 8 ટીમો મેદાનમાં ઉતરી છે, જેમના માલિકો બોલિવૂડ અને સાઉથ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારો છે. ટુર્નામેન્ટની શરૂઆતથી જ અનેક મોટા નામો સુરતના મહેમાન બની ચૂક્યા છે. જેમાં શહેનશાહ અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, અજય દેવગન, દક્ષિણ ભારતના સુપરસ્ટાર સૂર્યા અને રામચરણ તેમજ અર્પિતા ખાનનો સમાવેશ થાય છે. સુરત બન્યું સ્પોર્ટ્સ હબછેલ્લા કેટલાક સમયથી સુરત રાષ્ટ્રીય સ્તરની ઇવેન્ટ્સનું કેન્દ્ર બની રહ્યું છે. ISPL જેવી લીગના કારણે સ્થાનિક પ્રતિભાઓને મોટું પ્લેટફોર્મ મળી રહ્યું છે, અને તેમાં પણ જ્યારે બોલિવૂડ સેલિબ્રિટી જેવા દિગ્ગજો જોડાય છે, ત્યારે આ ટુર્નામેન્ટની લોકપ્રિયતા અને ભવ્યતા અનેકગણી વધી જાય છે.

23 C