SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

30    C
... ...View News by News Source

પાટડીના બજાણા પાસે એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ:108ની ટીમે માતા-પુત્રીનો જીવ બચાવ્યો, બંને સુરક્ષિત

પાટડી તાલુકાના બજાણા ગામ નજીક 108 એમ્બ્યુલન્સની ટીમે સમયસૂચકતા વાપરીને એમ્બ્યુલન્સમાં જ એક સગર્ભા મહિલાની સફળ પ્રસુતિ કરાવી છે. આ ઘટનામાં માતા અને નવજાત બાળકી બંનેનો જીવ બચાવવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, જૈનાબાદ ગામની એક સગર્ભા મહિલા પાટડી તાલુકાના બજાણા ગામની સીમમાં ખેતમજૂરી કરતી હતી. તેમને રાત્રિના સમયે અચાનક પ્રસૂતિની પીડા ઉપડી હતી. પીડા ઉપડતા જ માલવણ 108 એમ્બ્યુલન્સની ટીમને જાણ કરવામાં આવી હતી અને તેઓ મહિલાને હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. જોકે, બજાણા ગામ નજીક પહોંચતા જ પ્રસૂતાને પીડા વધુ તીવ્ર બની હતી, જેના કારણે એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ સંજોગોમાં, 108 ટીમના ઈએમટી ચમન પરમાર અને પાયલોટ રાજેશભાઈ ખાંભલાએ અમદાવાદના નિષ્ણાત ડોક્ટરની ટેલિફોનિક સલાહ લીધી હતી. એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ સાધનોની મદદથી તેમણે સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી, જેમાં એક દીકરીનો જન્મ થયો. હાલ માતા અને નવજાત પુત્રી બંને સુરક્ષિત છે. તેમને વધુ સારવાર માટે પાટડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 5:56 pm

MSU આર્ટ્સ ફેકલ્ટીને મળી પ્રથમ પેટન્ટ:ડૉ. વીરેન્દ્ર સિંહે વિકસાવ્યું ભારતીય સંસ્કૃતિને અનુરૂપ આધુનિક વર્કસ્ટેશન મોડલ

વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાએ શૈક્ષણિક જગતમાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ પ્રોફેસરને ભારત સરકાર તરફથી પેટન્ટ એનાયત કરવામાં આવી છે. સમાજશાસ્ત્ર વિભાગના વડા ડૉ. વીરેન્દ્ર સિંહને તેમના સંશોધન મોડ્યુલર કોલાબોરેટિવ વર્કસ્ટેશન માટે આ પેટન્ટ પ્રાપ્ત થઈ છે. નોંધનીય છે કે, ડૉ. સિંહ અગાઉ 2015 થી 2019 દરમિયાન ભારત સરકાર તરફથી 4 કોપીરાઈટ પણ મેળવી ચૂક્યા છે. શું છે આ મોડ્યુલર કોલાબોરેટિવ વર્કસ્ટેશન? આ નવીનતમ વર્કસ્ટેશન એક અત્યંત લવચીક સિસ્ટમ છે, જેમાં વિનિમય કરી શકાય તેવા વિવિધ ભાગોનો સમાવેશ થાય છે. આ સિસ્ટમ વ્યક્તિગત કામ અને ગ્રુપ ટીમવર્ક બંનેને ધ્યાનમાં રાખીને સરળતાથી પુનઃરૂપરેખાંકિત કરી શકાય છે. બદલાતી જરૂરિયાતો, મર્યાદિત જગ્યા અને કાર્ય કરવાની શૈલી મુજબ તેને ઝડપથી અનુકૂલિત કરી શકાય તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેની સરળ એસેમ્બલી અને ડિસએસેમ્બલી સુવિધાને કારણે ઓફિસ કે કાર્યસ્થળમાં સંદેશાવ્યવહાર વધુ સરળ અને અસરકારક બને છે. ભારતીય પરંપરા અને આધુનિકતાનો સમન્વય ડૉ. વીરેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર, આ ઇનોવેશન ભારતની સામૂહિક પરંપરાઓ અને સામાજિક-આર્થિક વિવિધતા સાથે સીધું જોડાયેલું છે. ભારતની વર્ષો જૂની આંગણા, ચોક અને પંચાયત જેવી વહેંચાયેલ જગ્યાઓની સંસ્કૃતિ આ વર્કસ્ટેશનમાં પ્રતિબિંબિત થાય છે. તે આપણે મારા પહેલાં (We before I) ની ભારતીય માનસિકતાને પ્રોત્સાહન આપે છે, જ્યાં એકલતાને બદલે એકતા અને સામૂહિક નિર્ણય લેવાની પ્રક્રિયાને મહત્વ આપવામાં આવે છે. વૈશ્વિક ઓળખ અને શૈક્ષણિક મહત્વ ભારતીય કાર્યસ્થળોમાં અલગ-અલગ પેઢીઓ અને ભાષાના લોકો સાથે કામ કરતા હોય છે, ત્યારે આ વર્કસ્ટેશન દરેકના આરામ અને કાર્યશૈલી મુજબ અનુકૂળ રહે છે. ભારતની ગુરુ-શિષ્ય પરંપરા અને જ્ઞાનના આદાન-પ્રદાનની રીતને આ આધુનિક સ્વરૂપમાં વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને શહેરી ભારતના IT હબ અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિ માટે આ નવીનતા નવી ઓળખ સમાન છે. આ સંશોધન દ્વારા કાર્યસ્થળો હવે માત્ર ઓફિસ ન રહેતા, સાંસ્કૃતિક રીતે પ્રતિભાવશીલ જગ્યાઓમાં પરિવર્તિત થશે, જે ભારતના ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે સેતુ બનશે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 5:56 pm

હિંમતનગરના મહાદેવપુરામાં આંગણવાડી અને ગ્રામ્ય માર્ગનું લોકાર્પણ:ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલાના હસ્તે વિકાસ કાર્યો ખુલ્લા મુકાયા

હિંમતનગર તાલુકાના મહાદેવપુરા ગામે આજે આંગણવાડી અને ગ્રામ્ય માર્ગના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હિંમતનગરના ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલાના હસ્તે આ સુવિધાઓ ખુલ્લી મુકવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ માતા-બાળ કલ્યાણ, પોષણ, શિક્ષણ અને ગ્રામ્ય માળખાકીય વિકાસને મજબૂત બનાવવા માટે નવીન સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, મહાદેવપુરા ગામે નિર્મિત નવી આંગણવાડી ગ્રામ્ય વિસ્તારના બાળકો અને માતાઓ માટે એક મહત્વપૂર્ણ કેન્દ્રરૂપ સાબિત થશે. સરકાર ગામડાં સુધી વિકાસ પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ છે. ધારાસભ્યએ વધુમાં જણાવ્યું કે, પાયાની સુવિધાઓ મજબૂત બનશે તો ગ્રામ્ય જીવનસ્તર ઊંચું આવશે. આનાથી 'સબળ ગામ – સમૃદ્ધ તાલુકો – વિકસિત ગુજરાત'ના સંકલ્પને સિદ્ધ કરવામાં મદદ મળશે. આ લોકાર્પણ પ્રસંગે તાલુકા પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, તાલુકા સદસ્ય જીતેન્દ્રસિંહ ઝાલા, સરપંચ દક્ષાબેન પટેલ, સી.ડી.પી.ઓ. આનંદીબેન પટેલ, અલકાબેન પટેલ, હરિભાઈ પટેલ, ચંદુભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ, ભીખાભાઇ પટેલ, વિનોદભાઈ પટેલ, અનિલભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, ધર્મેન્દ્રભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 5:56 pm

ભરૂચ RTO માં CPR તાલીમ કેમ્પ યોજાયો:સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા જીવન રક્ષાત્મક માર્ગદર્શન અપાયું

ભરૂચના સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા ભરૂચ RTO ખાતે જીવન રક્ષાત્મક CPR (કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન) તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય અકસ્માત, પાણીમાં ડૂબી જવું, આગના ધુમાડાથી બેભાન થવું અથવા અન્ય કોઈ કારણસર વ્યક્તિ અચાનક બેભાન થઈ જાય ત્યારે એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલા તાત્કાલિક પ્રાથમિક સારવાર આપીને જીવ કેવી રીતે બચાવી શકાય તે અંગે પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવાનો હતો. આ તાલીમ કાર્યક્રમમાં RTOના 60થી વધુ કર્મચારીઓ સહિતના ઉપસ્થિત લોકોને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના જીતેન્દ્ર પટેલ દ્વારા CPR આપીને દર્દીને જીવનદાન કેવી રીતે આપી શકાય તે અંગે વિગતવાર અને સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પ્રેક્ટિકલ ડેમો સાથેની આ તાલીમને કારણે ઉપસ્થિત કર્મચારીઓમાં આત્મવિશ્વાસ વધ્યો હતો. આ કાર્યક્રમમાં ARTO પંકજ પઢિયાર, વર્ષાબેન, સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંજય તલાટી,રશ્મી કંસારા, કનકભાઈ અને ફાઉન્ડેશનના અન્ય સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તાલીમ દરમિયાન, ઉપસ્થિત તમામે વિકટ પરિસ્થિતિમાં માનવજીવન બચાવવાના પ્રયાસ માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 5:55 pm

દુષ્કર્મ -પોક્સો કેસની તપાસ માટે મહત્ત્વનો નિર્ણય:જંગલેશ્વરમાં એકસાથે 2000 પરિવારો થશે ઘરવિહોણા, ટ્રેનની અડફેટે શરીરના બે ટુકડાં, રોંગ સાઈડમાં આવતું ટ્રેલર દુકાનમાં ફસાયું

મુખ્યમંત્રીનો નિખાલસ અને સાદગીભર્યો અંદાજ જૂનાગઢના પ્રવાસે આવેલા મુખ્યમંત્રીએ સાસણગીરમાં ખુલ્લી જીપમાં સવાર થઈ સિંહદર્શનનો લ્હાવો લીધો.. બજારમાં સ્થાનિકો સાથે બેસી ચાની ચૂસકી લીધી..અહીંથી નીકળી સીએમ દ્વારકામાં પહોંચ્યા, અને દ્વારકાધીશના દર્શન કર્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દુષ્કર્મ-POCSOના કેસમાં 60 દિવસમાં તપાસ કરવા આદેશ દુષ્કર્મ -POCSOના કેસમાં 60 દિવસમાં તપાસ કરી ચાર્જશીટ ફાઇલ કરવી પડશે...વધુ સમય લાગશે તો અધિકારીની જવાબદારી રહેશે. CP-SPને રિયલ-ટાઇમ મોનિટરિંગ કરવા સૂચના આપી..ડીજીપી ડો. કે.એલ.એન. રાવે મહત્ત્વનો આદેશ આપ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હિંમતનગરથી હૈદરાબાદ સુધી બાળ તસ્કરીનું રેકેટ પકડાયું ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાંચે બાળ તસ્કરીનો પર્દાફાશ કર્યો. હિંમતનગરથી 3.60 લાખમાં બાળક ખરીદી ફરાર થાય તે પહેલા જ ત્રણ આરોપીઓને એરપોર્ટથી ઝડપી પાડ્યા..આરોપીઓ બાળકોની તસ્કરી કરીને ગુજરાત, તેલંગાણા અને યુપીમાં વેચી દેતા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સતત ચોથા વર્ષે ગુજરાતના ટેબ્લોને એવોર્ડ મળ્યો પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ જીત્યો પોપ્યુલર ચોઈસ એવોર્ડ.. સતત ચોથા વર્ષે અવોર્ડ જીતીને ગુજરાતે ઈતિહાસ રચ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એક સાથે 2000 પરિવારોના માથેથી છત છીનવાશે રાજકોટના જંગલેશ્વરમાં 400 કરોડની સરકારી જમીન પર બનેલા રહેણાંક મકાનો દૂર કરવા તંત્રએ છેલ્લી નોટિસ ફટકારી..એકસાથે 2000 પરિવારો બેઘર થઈ જશે. સ્થાનિકો ચોધાર આંસુએ રડી પડ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નવતાડની પોળમાં મકાન ધરાશાયી, મહિલાનું મોત અમદાવાદના ઘી-કાંટા વિસ્તારમાં નવતાડની પોળમાં મકાન ધરાશાયી થતા મહિલાનું મોત નીપજ્યું, જ્યારે બે શ્રમિકો પણ ઈજાગ્રસ્ત થયા..સ્થાનિકોનો આક્ષેપ છે કે કોર્પોરેશનની ડ્રેનેજ લાઈનની કામગીરીમાં ડ્રિલિંગના કારણે મકાન પડી ગયું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો જૂનાગઢથી ઝડપાયો 8 મહિનાથી ફરાર મકરાણી ગોંડલના અમિત ખૂંટ આત્મહત્યા કેસના મુખ્ય આરોપી રહીમ મકરાણી ઉર્ફે મિસ્ટર એક્સ જૂનાગઢથી ઝડપાયો... મકરાણી જ સગીરાન સોશિયલ મીડિયાથી વાત કરતો હતો, તેણે સગીરાને દુષ્કર્મનો કેસ કરવા આઈફોનની લાલચ આપી હતી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટ્રેનની અડફેટે આવી જતા યુવકના શરીરના બે ટુકડાં પાટણના રેલવે ગરનાળા પાસે ટ્રેન નીચે આવી જતા 31 વર્ષીય યુવકનું મોત થયું...આ ઘટના આત્મહત્યા છે કે અકસ્માત તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.. મૃતક યુવકના 4 મહિના પછી લગ્ન હતા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રોંગ સાઈડમાં આવી રહેલું ટ્રેલર દુકાનમાં ઘૂસ્યું વડોદરામાં નેશનલ હાઈવે પર લોખંડની એંગલ ભરીને આવી રહેલું ટ્રેલર ડ્રાયફ્રુટની દુકાનમાં ઘૂસ્યું.. રુમની દિવાલ પડતા એકને ઈજા પહોંચી છે, જ્યારે પાંચનો બચાવ થયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 100-150 વર્ષે તીવ્ર ભૂકંપ આવવાની શક્યતા કચ્છમાં ફરી આવી શકે છે 2001 જેવો વિનાશક ભૂકંપ.. ગાંધીનગરમાં મળેલી ભૂકંપ પરિષદમાં દેશ વિદેશના 150 વૈજ્ઞાનિકોએ કરેલા રિસર્ચમાં આ શક્યતા વ્યક્ત કરાઈ. કચ્છમાં સક્રિય ફોલ્ટ લાઈનને કારણે દર 100-150 વર્ષે તીવ્ર ભૂકંપ આવી શકે છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 5:50 pm

ભાવનગરના ડાયગ્નોસ્ટિક ક્લિનિક્સમાં CCTV ફરજિયાત કરાયા:ગર્ભ પરીક્ષણ અટકાવવા વહીવટી તંત્રનો આદેશ, ફૂટેજ ત્રણ મહિના સાચવવા પડશે

ભાવનગર જિલ્લામાં ઘટતા જતા સ્ત્રી જન્મદરને નિયંત્રિત કરવા અને 'બેટી બચાવો' અભિયાનને વેગ આપવા માટે વહીવટી તંત્ર દ્વારા કડક નિર્ણય લેવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભાવનગર શહેર અને જિલ્લાના તમામ રજિસ્ટર્ડ ડાયગ્નોસ્ટિક ક્લિનિક્સ માટે CCTV કેમેરા ફરજિયાત બનાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ આદેશનો મુખ્ય હેતુ ગર્ભ પરીક્ષણ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લગાવવાનો છે. ત્રણ મહિના સુધી ડેટા સાચવવો ફરજિયાત નવા નિયમ મુજબ, PC PNDT એક્ટ હેઠળ નોંધાયેલા તમામ ક્લિનિક્સમાં CCTV કેમેરા લગાવવા પડશે. માત્ર કેમેરા લગાવવાથી કામ પૂરું નહીં થાય, પરંતુ ક્લિનિક સંચાલકોએ આ ફૂટેજનો રેકોર્ડ (ડેટા) સતત 3 મહિના સુધી સુરક્ષિત રાખવો પડશે. જિલ્લા એડવાઈઝરી કમિટીની સૂચના અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયતની દરખાસ્તને આધારે આ નિર્ણય લેવાયો છે. નિયમ ભંગ બદલ કડક કાર્યવાહી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 ની કલમ-163(1) હેઠળ આ આદેશ જારી કરાયો છે. આ જાહેરનામું પ્રસિદ્ધ થયાના 60 દિવસ સુધી અમલમાં રહેશે. જો કોઈ ક્લિનિક આ નિયમનો ભંગ કરશે, તો તેની સામે ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-223 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ફરિયાદ નોંધાવવાની સત્તા જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરીટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને સોંપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 5:47 pm

ગોધરામાં બે બંધ મકાનોના તાળા તૂટ્યા:તસ્કરોએ શ્રી હરિ સોસાયટીમાંથી રૂ. 1.85 લાખની મતા ચોરી

ગોધરા શહેરના સાપા રોડ પર આવેલી શ્રી હરિ સોસાયટીમાં તસ્કરોએ બે બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા. રાત્રિના સમયે થયેલી આ ચોરીમાં રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ. 1.85 લાખની મતા ચોરાઈ હોવાનું સામે આવ્યું છે. તસ્કરોએ સોસાયટીમાં રહેતા બે રહીશોના બંધ મકાનોના મુખ્ય દરવાજાના નકૂચા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. આ ઘટના રાત્રિના સમયે બની હતી. ફરિયાદી ઉજવલ રવિન્દ્રના મકાનમાંથી આશરે રૂ. 56,000ની મતાની ચોરી થઈ છે. જ્યારે પંકજ માછીના મકાનમાંથી તસ્કરો અંદાજે રૂ. 1.29 લાખની રોકડ તેમજ કિંમતી સોના-ચાંદીના દાગીના ચોરી ગયા હતા. આ ઘટના અંગે ગોધરા શહેર એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરોને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 5:43 pm

ગોધરા સિવિલ હોસ્પિટલ: 2.79 લાખ દર્દીઓને નિઃશુલ્ક સારવાર:પંચમહાલ, મહીસાગર, દાહોદ જિલ્લાના દર્દીઓને મળ્યો લાભ

ગોધરાની જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ સંલગ્ન સિવિલ હોસ્પિટલે પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના અંદાજે 2.79 લાખ દર્દીઓને નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ પૂરી પાડી છે. હોસ્પિટલના તાજેતરના વાર્ષિક અહેવાલમાં આ માહિતી સામે આવી છે, જે દર્શાવે છે કે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને નોંધપાત્ર લાભ મળ્યો છે. હોસ્પિટલના અધિક્ષક ડૉ. આશિષ ખરાડીએ જણાવ્યું હતું કે, અહીં 24 કલાક ઇમરજન્સી સારવાર ઉપલબ્ધ છે. ગત વર્ષ દરમિયાન 25,658 દર્દીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. આ સમયગાળામાં કુલ 7,559 ઓપરેશન્સ થયા, જેમાં 2,746 મેજર અને 4,813 માઇનોર સર્જરીનો સમાવેશ થાય છે. હોસ્પિટલમાં દૈનિક 900 થી વધુ દર્દીઓની ઓ.પી.ડી. તપાસ કરવામાં આવે છે. તેમાંથી 22,845 ગંભીર દર્દીઓને ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરીને સારવાર પૂરી પાડવામાં આવી હતી. નિદાનની સુવિધાઓમાં પણ હોસ્પિટલ અગ્રેસર રહી છે. ગત વર્ષે 6.20 લાખથી વધુ લેબોરેટરી ટેસ્ટ અને 69 હજારથી વધુ એક્સ-રે કરવામાં આવ્યા હતા. ગાયનેક વિભાગમાં 2,964 મહિલાઓની સુરક્ષિત પ્રસૂતિ કરાવવામાં આવી હતી. આયુષ્માન ભારત યોજના હેઠળ 10 હજારથી વધુ લાભાર્થીઓએ આ હોસ્પિટલમાં સારવાર મેળવી છે. હોસ્પિટલની ક્ષમતામાં વધારો થતાં હાલ 36 આઈ.સી.યુ. બેડ સહિત 400 થી વધુ ઇન્ડોર બેડની સુવિધા ઉપલબ્ધ છે. દર્દીઓની સુવિધા માટે તાજેતરમાં ન્યુરોસર્જન, કાર્ડિયોલોજિસ્ટ અને નેફ્રોલોજિસ્ટ જેવી સુપર સ્પેશિયાલિટી સેવાઓ પણ શરૂ કરાઈ છે, જેનાથી સ્થાનિક સ્તરે જ જટિલ રોગોનું નિદાન શક્ય બન્યું છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 5:39 pm

બોટાદમાં યોગીરાજ વિદ્યા સંકુલ ખાતે ટ્રાફિક જાગૃતિ અભિયાન:PSI બી.વી.ચૌધરીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું

બોટાદ શહેરની યોગીરાજ વિદ્યા સંકુલ ખાતે તાજેતરમાં ‘ટ્રાફિક જાગૃતિ અભિયાન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં માર્ગ સુરક્ષા અને ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી યોજાયેલા આ કાર્યક્રમમાં બોટાદ ટ્રાફિક પોલીસે સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમમાં બોટાદ ટ્રાફિક શાખાના PSI બી.વી.ચૌધરી અને તેમનો સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યો હતો. શાળાના પટાંગણમાં મોટી સંખ્યામાં એકત્ર થયેલા વિદ્યાર્થીઓને સંબોધતા PSI ચૌધરીએ વર્તમાન સમયમાં વધતા જતા રોડ અકસ્માતો અને તેના કારણો વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. જેમાં વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું અને ફોર-વ્હીલર ચલાવતી વખતે સીટબેલ્ટ બાંધવો એ માત્ર કાયદો જ નહીં, પરંતુ સુરક્ષા કવચ પણ છે તેમ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, લાયસન્સ વિના વાહન ચલાવવું એ ગંભીર ગુનો છે. તેથી, વિદ્યાર્થીઓને 18 વર્ષની ઉંમર પહેલાં વાહન ન ચલાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, યલો અને ગ્રીન લાઈટનો અર્થ અને ઝીબ્રા ક્રોસિંગના ઉપયોગ વિશે પણ સમજણ આપવામાં આવી હતી. ટુ-વ્હીલર પર ત્રણ સવારી બેસીને જવું જોખમી અને કાયદા વિરુદ્ધ છે તે અંગે પણ ટકોર કરવામાં આવી હતી. PSI બી.વી.ચૌધરીએ વિદ્યાર્થીઓને માત્ર શ્રોતા બનવાને બદલે ‘ટ્રાફિક એમ્બેસેડર’ બનવા અપીલ કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને ઘરે જઈને પોતાના વાલીઓ અને સગા-સંબંધીઓને પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રેરિત કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે યોગીરાજ વિદ્યા સંકુલના સંચાલકો અને આચાર્ય દ્વારા બોટાદ પોલીસની આ સરાહનીય કામગીરીને બિરદાવવામાં આવી હતી. તેમણે વિદ્યાર્થીઓના હિતમાં આવા કાર્યક્રમો યોજવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 5:36 pm

ઘોઘારોડ વિસ્તારમાં બુટલેગરને ઘરે પેરોલ ફર્લો સ્કવોડની રેડ:ઓરડીમાંથી દારૂની 336 બોટલ મળી, આરોપી સંજય સરવૈયા ફરાર

ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઘોઘારોડ વિસ્તારમાંથી રૂ.33,600 કિંમતની 336 બોટલો મળી આવી છે. આ મામલે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે પોલીસે રેડ કરીઆ અંગે પેરોલ સ્કવોડ કચેરીથી મળતી માહિતી મુજબ, 28 જાન્યુઆરીના ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી મળી કે, ઘોઘારોડ શીતળામાતા મંદિર સામે ચાઇના સોસાયટી શેરીમાં રહેતા સંજય ધનજીભાઈ સરવૈયા બહારથી ઇંગ્લીશ દારૂનો જથ્થો વેંચાણ અર્થે લાવ્યાં છે. જે દારૂ તેણે તેના રહેણાંક મકાની સામે આવેલી અવાવરુ ઓરડીમાં સંતાડ્યો છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરીપોલિસ સ્ટાફે તુરંત સ્થળે ઝઈ તપાસ કરતા સંજય સરવૈયા હાજર મળી આવ્યો નહીં. તેની કબજાની અવાવરૂ ઓરડીમાંથી ROYAL'S SPECIAL PREMIUM WHISKY 180 MLની બોટલો 336 નંગ, કિ.રૂ.33,600નો ઇગ્લીંશ દારૂના જથ્થો મળી આવ્યો હતો. તેના વિરુદ્ધ ભાવનગર શહેર ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો દાખલ કરી શખસને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 5:35 pm

જૂનાગઢના શિવગીરીએ સાધુવેશમાં આતંક મચાવ્યો!, VIDEO:ભવનાથમાં કરેલા દબાણ પર બુલડોઝર ફેરવી દેવાયું, ભૂતકાળમાં સાધ્વી પર તલવારથી હુમલો કર્યો'તો

વર્ષ 2023માં ગિરનાર ક્ષેત્રના મહિલા પીઠાધીશ્વર જયશ્રીકાનંદ માતાજી પર તલવારથી હુમલો કરી ચર્ચામાં આવેલા શિવગીરીએ ભવનાથમાં કરેલા દબાણ પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું છે. જૂનાગઢમાં આવતા શ્રદ્ધાલુઓને શિવગીરી વારંવાર હેરાન પરેશાન કરતો હોવાની ફરિયાદો ઉઠી હતી. પોલીસે શિવગીરીની અટકાયત કરી ઘરની તલાશી લેતા 50 થી વધુ હથિયારો મળી આવ્યા હતા. તંત્ર દ્વારા શિવગીરી સામે ભવિષ્યમાં તડીપારની પણ કાર્યવાહી થઈ શકે છે. થોડા સમય પહેલા જ શિવગીરી દ્વારા કરાયેલા એક હુમલાના સીસીટીવી પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. સાધુના વેશમાં આતંક મચાવતા હોવાની ફરિયાદો ઉઠી હતીશિવગીરી નામનો આ શખ્સ પોતાને નાગા સાધુ તરીકે ઓળખાવતો હતો, પરંતુ તેની હરકતો અસામાજિક તત્વો જેવી હતી. તે ભવનાથ ક્ષેત્રમાં આવતા નિર્દોષ ભાવિકોને ગમે ત્યારે નગ્ન હાલતમાં ડરાવતો અને ધમકાવતો હતો. તાજેતરમાં જ તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં તે પૂરપાટ ઝડપે કાર લઈને આવે છે અને નગ્ન અવસ્થામાં ઉતરીને એક યાત્રિક પર લાકડી વડે તૂટી પડે છે. આ શખ્સ સાધુતાની મર્યાદા ઓળંગી લોકોને માર મારતો હોવાની અનેક ફરિયાદો તંત્રને મળી હતી. ​દબાણ હટાવતા મળી આવ્યો હથિયારોનો મોટો જથ્થોપ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે દિવ્ય ભાસ્કર ને જણાવ્યું હતું કે મેળામાં અવરોધરૂપ તમામ દબાણો દૂર કરવાની સૂચના મુજબ શિવગીરીના ગેરકાયદે બાંધકામ પર કાર્યવાહી કરાઈ હતી. આ ડિમોલિશન દરમિયાન તેના આશ્રમમાંથી અંદાજે 50 થી 60 જેટલા તીક્ષ્ણ હથિયારો મળી આવ્યા છે. જેમાં તલવાર, ભાલા, ધારિયા, કુહાડી, છરા અને ગદા જેવા જોખમી શસ્ત્રોનો સમાવેશ થાય છે. આટલી મોટી સંખ્યામાં હથિયારો રાખવા પાછળનો હેતુ શું હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે અને તમામ હથિયારો જપ્ત કરી શિવગીરીની અટકાયત કરી લેવામાં આવી છે. ​ભૂતકાળમાં મહિલા પીઠાધીશ્વર પર જીવલેણ હુમલો કર્યો હતોશિવગીરીનો ગુનાહિત ઇતિહાસ ઘણો જૂનો છે. વર્ષ 2023માં 7 ફેબ્રુઆરીના રોજ તેણે ગિરનાર ક્ષેત્રના મહિલા પીઠાધીશ્વર જયશ્રીકાનંદ માતાજી પર તલવાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. માતાજી જ્યારે ભવનાથ મંદિર પાછળના વિસ્તારમાંથી પગપાળા પસાર થતા હતા, ત્યારે પાછળથી આવીને શિવગીરીએ તેમના પેટના ભાગે ઘા માર્યા હતા. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા માતાજીને લાંબો સમય હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. તે સમયે પોલીસે હત્યાની કોશિશ (કલમ 307) હેઠળ તેની ધરપકડ કરી હતી અને તે જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે. શિવગીરીને તડીપાર કરવાની કાર્યવાહી થઈ શકેવહીવટી તંત્ર હવે આ શખ્સ સામે નરમ વલણ દાખવવાના મૂડમાં નથી. પ્રાંત અધિકારીએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જો પોલીસ વિભાગ તરફથી દરખાસ્ત મળશે, તો શિવગીરીને જિલ્લામાંથી તડીપાર કરવાની કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. સાધુઓના નામે રોફ જમાવતા અને શ્રદ્ધાળુઓમાં ભય ફેલાવતા આવા તત્વો સામેની આ કાર્યવાહીથી ભવનાથના સ્થાનિક સાધુ-સંતો અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. ​મહાશિવરાત્રીના મેળામાં લાખોની મેદની ઉમટતી હોય છે, ત્યારે યાત્રિકોની સુરક્ષા સાથે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં તેવું તંત્રએ સાબિત કરી દીધું છે. હાલ પોલીસ શિવગીરીના ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 5:27 pm

જામનગર રોડ પર ટ્રાફિકની સમસ્યા દૂર થશે:રાજકોટનાં સાંઢીયા પુલમાં ગર્ડર ચડાવવા અંતે રેલવેની મંજૂરી મળી, માર્ચ સુધીમાં નવનિર્મિત ફોરલેન બ્રિજ ખુલ્લો મુકાવાની શક્યતા

રાજકોટ શહેરના પશ્ચિમ વિસ્તાર અને જામનગર હાઈવેને જોડતા અતિ મહત્વના એવા સાંઢીયા પુલના નવનિર્માણ આડે લાંબા સમયથી ચાલી રહેલું વિઘ્ન અંતે દૂર થયું છે. રેલવે ટ્રેક ઉપર ગર્ડર ચડાવવા માટેની અંતિમ મંજૂરી રેલવે વિભાગ દ્વારા આપી દેવામાં આવતા હવે બ્રિજની કામગીરીમાં તેજી આવશે. તંત્ર દ્વારા એવી આશા વ્યક્ત કરવામાં આવી છે કે માર્ચ-2026 સુધીમાં આ ફોરલેન ફ્લાય ઓવરનું કામ પૂર્ણ કરી તેને જનતા માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે. ત્યારે ઘણા સમયથી ટ્રાફિકની ગંભીર સમસ્યાનો સામનો કરી રહેલા હજારો વાહન ચાલકોને રાહત મળશે. અને જામનગર રોડ પર ટ્રાફિકની સમસ્યા મહદઅંશે દૂર થશે. જામનગર રોડથી રાજકોટ શહેરમાં પ્રવેશવા માટેના મુખ્ય પ્રવેશદ્વાર સમાન આ દાયકાઓ જૂના સાંઢીયા પુલની હાલત અતિ જર્જરિત અને અસલામત જાહેર કરવામાં આવી હતી. આથી, સુરક્ષાના કારણોસર જૂના પુલને તોડી તેની જગ્યાએ રૂ. 75 કરોડના ખર્ચે નવા આધુનિક ફોરલેન બ્રિજ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ શરૂ થયો ત્યારથી જામનગર રોડ પરનો એસટી બસ અને ખાનગી લક્ઝરી બસો સહિતનો તમામ ભારે ટ્રાફિક 150 ફૂટ રિંગ રોડ, રૈયા રોડ અને કાલાવડ રોડ જેવા મુખ્ય રાજમાર્ગો પર ડાયવર્ટ કરવો પડ્યો હતો. જેના કારણે શહેરના આંતરિક માર્ગો પર વાહનોનું ભારણ અસહ્ય વધી ગયું છે. અને નાગરિકોને કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાઈ રહેવું પડે છે. બ્રિજની બંને બાજુના એપ્રોચ રોડ અને પિલરનું કામ તો ઘણો સમય પહેલા પૂર્ણ થઈ ગયું હતું, પરંતુ રેલવે ટ્રેકની બરાબર ઉપર આવતા સેન્ટ્રલ પોર્શનમાં ગર્ડર ગોઠવવા માટે રેલવેની ટેકનિકલ મંજૂરી લેવી અનિવાર્ય હતી. આ પ્રક્રિયામાં થયેલા વિલંબને કારણે મનપા કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને અધિકારીઓ સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી. જોકે, હવે તમામ અવરોધો દૂર થયા છે. અને રેલવે વિભાગે ગર્ડર ચડાવવા માટે 'બ્લોક' લેવાની મંજૂરી આપી દીધી છે. ટ્રેનોની અવરજવરને અસર ન થાય તે રીતે આ કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. સિટી ઈજનેર અતુલ રાવલે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ગર્ડર ચડાવવાની પ્રક્રિયા માટે સામાન્ય રીતે સતત 4 કલાકનો બ્લોક જરૂરી હોય છે, પરંતુ રેલવે ટ્રેક પર ટ્રેનોની વ્યસ્તતાને જોતા રેલવે વિભાગે 4 કલાકનો સળંગ બ્લોક આપવા અસમર્થતા દર્શાવી હતી. તેના બદલે મનપાએ 2-2 કલાકના બે અલગ બ્લોકની માંગણી કરી છે. જે મુજબ, પ્રથમ દિવસે 2 કલાકના સમયગાળામાં અડધી કામગીરી અને બીજા દિવસે બાકીના 2 કલાકમાં ગર્ડર ગોઠવવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. હવે રેલવે વિભાગ દ્વારા આગામી સપ્તાહમાં બ્લોકનો ચોક્કસ સમય ફાળવવામાં આવશે, જે બાદ ગર્ડર ચડાવવાનું જટિલ કામ શરૂ કરી દેવાશે. નોંધનીય છે કે, રાજકોટમાં જૂનો બ્રિજ તોડીને નવો બનાવવાનો આ પ્રકારનો પ્રથમ કિસ્સો છે. આ કામગીરી દરમિયાન અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. જૂના પુલને તોડવા માટે રેલવેની કડક શરતો વચ્ચે ડાયમંડ કટિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, બ્રિજની ડિઝાઇનમાં પણ ટેકનિકલ કારણોસર ફેરફાર કરવા પડ્યા હતા, જેના કારણે પ્રોજેક્ટની સમયમર્યાદા લંબાઈ હતી. પરંતુ હવે જ્યારે અંતિમ મંજૂરી મળી ગઈ છે, ત્યારે તંત્ર યુદ્ધના ધોરણે બાકીનું કામ પૂરું કરવા સજ્જ થયું છે. માર્ચ મહિના સુધીમાં આ બ્રિજ કાર્યરત થતા જામનગર રોડ અને રૈયા રોડ પરનો ટ્રાફિક હળવો થશે અને લોકોને કાયમી ધોરણે સુવિધા મળશે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 5:22 pm

બનાસકાંઠા કોંગ્રેસે SIR પ્રક્રિયા મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું:મતદારોના નામ કમી ન કરવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસે આજે પાલનપુરમાં SIR (Systematic Electoral Roll Revision) પ્રક્રિયા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સાચા મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી ન કરવા રજૂઆત કરી હતી. કોંગ્રેસનો આરોપ છે કે, SIR પ્રક્રિયા અંતર્ગત નમૂના 7ના ફોર્મ ખોટી રીતે ભરીને નાગરિકોના મતાધિકાર છીનવી લેવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. તેમણે ભાજપ પર આ ષડયંત્ર રચવાનો આક્ષેપ કર્યો હતો. આવેદનપત્રમાં કોંગ્રેસે માંગ કરી હતી કે, આ ષડયંત્ર બંધ કરવામાં આવે અને સાચા મતદારોના નામ દૂર ન કરવામાં આવે. જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં કોંગ્રેસ કલેક્ટર કચેરીનો ઘેરાવો કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 5:19 pm

માલણપુરમાં દાડમના ખેતરમાંથી 13 ઘેટાં ચોરાયા:રૂ. 52,000ની કિંમતના ઘેટાં ચોરાતા પોલીસ ફરિયાદ નોંધાઈ

માલણપુર ગામની સીમમાં આવેલા એક દાડમના ખેતરમાંથી રૂ. 52,000ની કિંમતના 13 ઘેટાંની ચોરી થઈ છે. આ અંગે પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વ્રજવાણી ગામના પશુપાલક ખેતાભાઈ રતનાભાઈ મકવાણા તેમના પરિવાર સાથે માલણપુર ગામે લક્ષ્મણભાઈ નાડોદા રાજપૂતના દાડમના ખેતરમાં લગભગ એક હજાર ઘેટાં ચરાવવા આવ્યા હતા. તેઓ રાત્રિના સમયે ખેતરમાં જ સૂઈ ગયા હતા. બીજા દિવસે વહેલી સવારે લગભગ પાંચ વાગ્યે જ્યારે તેઓ ઘેટાં દોહવા માટે જાગ્યા, ત્યારે તેમને 13 ઘેટાં ગાયબ જણાયા. આસપાસના ખેતરો અને માલણપુર ગામમાં તપાસ કરવા છતાં સફેદ રંગના આ ઘેટાંનો કોઈ પત્તો લાગ્યો નહોતો. ખેતાભાઈ મકવાણાએ જણાવ્યું કે, એક ઘેટાની કિંમત રૂ. 4,000 લેખે કુલ 13 ઘેટાની કિંમત રૂ. 52,000 થાય છે. કોઈ અજાણ્યો ચોર ઈસમ આ ઘેટાં ચોરી કરીને લઈ ગયો હોવાનું તેમને લાગી રહ્યું છે. આ ઘટના અંગે ખેતાભાઈ મકવાણાએ પાટડી પોલીસ મથકે અજાણ્યા ચોર વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. આ કેસની વધુ તપાસ પાટડી પોલીસ મથકના એસ.વી. કલોત્રા ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 5:10 pm

હિંમતનગર-ખેડબ્રહ્મા બ્રોડગેજ રેલખંડનું વિદ્યુતીકરણ પૂર્ણ:PCEE દ્વારા નિરીક્ષણ બાદ વિદ્યુત ટ્રેન સંચાલનને મંજૂરી મળી

હિંમતનગર-ખેડબ્રહ્મા વચ્ચેના 55.672 કિલોમીટર લાંબા નવનિર્મિત બ્રોડગેજ રેલખંડનું 25 કેવી એ.સી. વિદ્યુતીકરણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. પશ્ચિમ રેલવેના મુખ્ય ઇલેક્ટ્રિક એન્જિનિયર (PCEE) શ્રી રજનીશ કુમાર ગોયલ દ્વારા 28 જાન્યુઆરી, 2026ના રોજ આ સેક્શનને યાત્રી અને માલગાડી સેવાઓ માટે વિદ્યુત એન્જિનોના સંચાલન હેતુ અધિકૃત કરવામાં આવ્યો છે. આ રેલખંડ સાબરકાંઠા વિસ્તારની એક સદી કરતાં વધુ સમયથી જીવનરેખા સમાન હતો. હિંમતનગર-ખેડબ્રહ્મા મીટર ગેજ સેક્શન પર 01 જાન્યુઆરી, 2017થી રેલ યાતાયાત બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, 2 જૂન, 2022ના રોજ ₹482 કરોડના ખર્ચે આ ગેજ પરિવર્તન પ્રોજેક્ટને મંજૂરી મળી હતી. પ્રધાનમંત્રી દ્વારા 18 જૂન, 2022ના રોજ આ ગેજ પરિવર્તનનું શિલાન્યાસ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ લગભગ ત્રણ વર્ષના રેકોર્ડ સમયમાં પૂર્ણ કરીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ ખંડ પર ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE), ટ્રેક્શન સબ-સ્ટેશન, સેક્શનિંગ અને પેરેલલિંગ પોસ્ટ, બોન્ડિંગ અને અર્થિંગ વ્યવસ્થા તથા સિગ્નલિંગ અને દૂરસંચાર પ્રણાલીઓ સહિતના તમામ તકનીકી કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે. 08 જાન્યુઆરી, 2026ના રોજ ઇલેક્ટ્રિક લોકોનો સફળ ટ્રાયલ પણ કરવામાં આવ્યો હતો. PCEE તથા અમદાવાદ મંડળ અને નિર્માણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા વિગતવાર તપાસ પછી રેલવે નિયમોના પ્રાવધાનો હેઠળ આ ખંડને વિદ્યુત સંચાલન હેતુ મંજૂરી આપવામાં આવી છે. પરીક્ષણ દરમિયાન OHE, વિદ્યુત આપૂર્તિ વ્યવસ્થા, ટર્નઆઉટ, ક્રોસઓવર તથા અન્ય સુરક્ષા અને સંરક્ષણ પ્રણાલીઓની કાર્યક્ષમતા યોગ્ય જણાઈ હતી. આ વિદ્યુતીકરણથી ઇંધણની બચત, પર્યાવરણ સંરક્ષણ, માલ ઢુલાઈ ક્ષમતામાં વધારો, યાત્રી ગાડીઓની વધુ સારી ગતિ તથા સંચાલન ખર્ચમાં ઘટાડો જેવા મહત્વપૂર્ણ લાભ મળશે. આ પ્રોજેક્ટ વિસ્તારમાં સુરક્ષિત, કુશળ અને હરિત રેલ પરિવહનને પ્રોત્સાહન આપશે, જેનાથી યાત્રીઓને વધુ સારી સેવા અને માલ પરિવહનને ગતિ મળશે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:56 pm

વેલ રાઇડર્સ એપથી કાર ભાડે લઈ 13 લાખની છેતરપિંડી:ઓનલાઈન બુકિંગથી કાર ભાડે લઈ સમીર હુસૈન મહંમદ હનીદ મલેક ઘરને તાળા મારી ફરાર

જામનગરના વતની અને સેટેલાઇટ વિસ્તારમાં રહીને ટૂર એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા 35 વર્ષીય આનંદ પરમાર સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. કાર ભાડે લેવાના બહાને મોટી છેતરપિંડી કરવામાં આવી છે. વેલ રાઇડર્સ એપ મારફતે મારૂતિ સુઝુકી આર્ટિગા કાર ભાડે લઈ ગ્રાહક ગાડી પરત કર્યા વિના ફરાર થઈ ગયો છે. ગાડીનું વધારાનું ભાડું અને મૂળ કિંમત મળીને કુલ 12.60 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. ફરિયાદીએ સમીર હુસૈન મહંમદ હનીદ મલેકના ઘરે જઈને તપાસ કરતા ઘર બંધ હોવાનું સામે આવ્યું હતું. ફોન પણ બંધ આવતા આખરે ફરિયાદીએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં 12.60 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી કાર-બાઈક ભાડે આપવાનો ધંધો કરે છેજામનગરના વતની અને સેટેલાઇટ વિસ્તારમાં રહીને ટૂર એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા 35 વર્ષીય આનંદ પરમાર સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. આનંદ પરમાર કાર અને બાઇક ભાડા પેટે આપવાનો ધંધો કરે છે. મહિના પહેલા આનંદના મિત્ર ધવલ ચાવડાએ મારૂતિ સુઝુકીની આર્ટિગા ગાડી ગ્રાહકોને ભાડે આપવા માટે આપી હતી. એક જાન્યુઆરીએ સમીર હુસૈન મહંમદ હનીદ મલેક નામના ગ્રાહકે ગાડી ભાડે લેવા માટેની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેને ફતેહવાડી ઓફિસમાં કામ કરતા પિયુષ ટાંક સાથે ગાડી ભાડે લેવા માટે વાતચીત કરી હતી. ગાડી વધુ સમય રાખવા ઓફિસે ફોન કર્યોજે બાદ સમીર હુસૈન મહંમદ હનીદ મલેક નામના ગ્રાહકે પોતાના મોબાઈલમાં વેલ રાઇડર્સ એપ ડાઉનલોડ કરીને 3 જાન્યુઆરી માટે રાત્રે 9 વાગ્યા સુધી ગાડી બુક કરાવી હતી. તેને બુકિંગના 7041 રૂપિયા ઓનલાઈન ચૂકવી 5000 રૂપિયા ડિપોઝિટ પણ આપી હતી. જેથી પેમેન્ટ થયા બાદ લાઇસન્સ અને આધાર કાર્ડ અપલોડ કરવાની પ્રોસેસ પણ કરવામાં આવી હતી. જે બાદ તેને આનંદના મિત્ર ધવલ ચાવડાની ગાડીની ચાવી આપવામાં આવી હતી. નક્કી કરેલી તારીખે સમીર હુસૈન મહંમદ હનીદ મલેક ગાડી લઈને નીકળી ગયો હતો, જે બાદ તેને ચાર વાગ્યે ગાડી વધારે સમય રાખવા માટે ઓફિસમાં ફોન કર્યો હતો. ઓનલાઈન જ સમય વધારવાની માટે કહેવામાં આવ્યું હતું. ઓનલાઈન ફોર્મ ભરવાનું કહેતાં ફોન બંધ કરી દીધોસમીર હુસૈન મહંમદ હનીદ મલેક નામના ગ્રાહકે વેલ રાઇડર્સ એપથી 5 જાન્યુઆરી 12 વાગ્યા સુધીનું બુકિંગ કરાવી વધારાની 5839 રૂપિયા રકમ ઓનલાઈન ભરી દીધી હતી. તે બાદ પણ સમીર હુસૈન મહંમદ હનીદ મલેકે ફરીથી એપ પર જઈને સમય એક્સ્ટેન્શન માટેનું ફોર્મ ભરીને 6 જાન્યુઆરી 6 વાગ્યા સુધીનો સમય ભરીને ઓનલાઈન 1586 રૂપિયાની ચૂકવણી કરી હતી. નક્કી કરેલો સમય પૂર્ણ થયા બાદ ફરીથી સમીર હુસૈન મહંમદ હનીદ મલેકે તારીખ એક્સ્ટેન્શન કરવા માટે આનંદની ઓફિસમાં ફોર્મ કર્યો હતો. ઓફિસના સ્ટાફ ઓનલાઈન જ ફોર્મ ભરી દેવાનું કહેતા તેને ફોન બંધ કરી દીધો હતો. કાર પરત ન કરતા પોલીસ ફરિયાદસમીર હુસૈન મહંમદ હનીદ મલેક એક જાન્યુઆરીએ ગાડી લઇ ગયો તે બાદ આજદિન સુધી ગાડી પરત કરી નહીં. તેમજ ગાડીનું જે વધારાનું ભાડું ચડી ગયું હોત તે 65000 રૂપિયા પણ આજદિન સુધી આપ્યા નહીં. જેથી આનંદ પરમારે સમીર હુસૈન મહંમદ હનીદ મલેકના ડોક્યુમેન્ટના આધારે એડ્રેસ પર જઈને તપાસ કરી તો ઘર બંધ હોવાનું સામે આવ્યું હતું. તેમજ અનેક વખત ફરિયાદીએ તેના નંબર પર ફોન કર્યા પરંતુ ફોન પણ બંધ આવતા આખરે ફરિયાદીએ કંટાળી સમીર હુસૈન મહંમદ હનીદ મલેક સામે 12.60 લાખની છેતરપિંડીની સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:55 pm

AMC સ્કૂલબોર્ડનું સુધારા સાથેનું 1205 કરોડનું બજેટ મંજૂર:AIનું શિક્ષણ આપવા એક કરોડ તો મેદાનો ડેવલોપ કરી ઓલમ્પિક માટે ખેલાડી તૈયાર કરવા 10 કરોડ ફાળવ્યા

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શાસનાધિકારી ડૉ.એલ.ડી. દેસાઈ દ્વારા 1200 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જે બાદ સ્કૂલ બોર્ડના સભ્યોની દરખાસ્ત અને સહયોગથી તેમાં 5 કરોડના વધારા સાથે કુલ 1205 કરોડનું વર્ષ 2026-27 માટેનું પ્રાથમિક શિક્ષણ સમિતિના અંદાજપત્રને મંજૂરી આપવામાં આવી છે. ગત વર્ષ કરતા 50 કરોડના વધારા સાથે AMC સ્કૂલબોર્ડનું સુધારા સાથેનું 1205 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. AMC સ્કૂલબોર્ડની શાળાના વિદ્યાર્થીઓને AIનું શિક્ષણ આપવા માટે એક કરોડ અને આગામી ઓલિમ્પિક ગેમ્સ માટે તૈયાર કરવા માટે 10 કરોડ ફાળવ્યા છે. 50 કરોડના વધારા સાથે 1205 કરોડની બજેટ મંજૂર કરવામાં આવ્યું વર્ષ 2026-27નું શતાબ્દી બજેટ વિદ્યાર્થી, વાલી, શિક્ષક અને શાળાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. આ વર્ષે પ્રાયમરી એજ્યુકેશન ફંડના 1250 કરોડના અંદાજપત્રમાં 86.67 ટકા એટલે કે 1044.32 કરોડ જેટલી રકમ પગાર અને પેન્શન પાછળ ખર્ચ કરવામાં આવશે. વિદ્યાર્થીઓના વિકાસ અને શિક્ષકોને લગતી પ્રવૃત્તિઓ પાછળ 10.90 ટકા એટલે કે 131.29 કરોડ અને શાળા અને માળખાકીય સુવિધાઓ પાછળ 2.44 ટકા એટલે કે 29.39 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. ગત વર્ષે 1155 કરોડના બજેટ સામે આ વર્ષે 50 કરોડના વધારા સાથે 1205 કરોડની બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. 54 નવી શાળાઓને સ્માર્ટ શાળા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવીસ્કૂલ બોર્ડના શિક્ષણ સાથે બાળકોને સ્કિલ ડેવલોપમેન્ટ, રમત ગમત, કલા, સંગીત, વક્તવ્ય, સેલ્ફ ડિફેન્સ, સ્વચ્છતા, ટ્રાફિક અવેરનેસ, રાષ્ટ્રપ્રેમ તેમજ વિદ્યાર્થી સ્વાવલંબી બને તેના માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. સ્કૂલ બોર્ડમાં 453 શાળાઓમાં 1,72,576 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમજ અમદાવાદની 204 સ્માર્ટ શાળાઓમાં 1,35,857 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેથી હવે 54 નવી શાળાઓને સ્માર્ટ શાળા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મિશન સ્કૂલ ઓફ એક્સેલેન્સ અંતર્ગત 28 શાળાઓમાં 255 નવા ઓરડા અને 22 શાળાઓમાં 306 ઓરડાનું રીપેરીંગ શરૂ કરવામાં આવ્યું છે. તેમજ આગામી સમયમાં 36 જેટલી નવી શાળાઓ બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવશે. આત્મનિર્ભર ભારતને વેગ આપે તે માટે કૌશલ્ય વર્ધન વર્ગો શરૂદેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરાઈ હતી. જેના પરિણામ સ્વરૂપે હાલમાં 100 ટકા કન્યાઓનું નામાંકન થઈ રહ્યું છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ બેટી પઢાવો, બેટી બચાવો ઝુંબેશ સમગ્ર દેશમાં ચાલુ કરવામાં આવી છે. ગુણવત્તાલક્ષી, સુવિધા યુક્ત અને ટેકનોલોજી યુક્ત શિક્ષણની સાથે કન્યાઓને રોજગારીની તકો ઉપલબ્ધ થાય તે માટે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સાથે ભરત ગુંથણ, હાથવણાટ, ઝરીકામ, કાગળ કામ અને રો મટીરીયલ લક્ષી વિવિધ ગૃહ સજાવટની વસ્તુઓ તેમજ ટેપ અને રોબોટિક્સ લેબની મદદથી વિવિધ સેન્ટરથી વર્કિંગ મોડેલ બનાવે અને સ્વનિર્ભર બની આત્મનિર્ભર ભારતને વેગ આપે તે માટે કૌશલ્ય વર્ધન વર્ગો શરૂ કરવામાં આવશે. એક કરોડના ખર્ચે ટેક્નોલોજી આધારિત ડિજિટલ શિક્ષણ આપવામાં આવશેઆર્ટીફિશિયલ ઈન્ટલિજન્સી (AI)આધુનિક જમાનાની માંગ છે. તેનાથી કઠિન શૈક્ષણિક સંકલ્પનાઓ સરળતાથી સમજી શકાય છે તેમજ દ્રશ્ય માધ્યમથી જોઈ શકાય છે. Al Education દ્વારા મ્યુનિ. શાળાના વિદ્યાર્થીઓને AI laboratory, શૈક્ષણિક સોફટવેર, શૈક્ષણિક અધ્યયન નિષ્પતિઓ આધારિત વિદ્યાર્થીઓને શૈક્ષણિક ગુણવત્તાનું મેપિંગ, વિવિધ શૈક્ષણિક વિષયો AIની મદદથી સરળતાથી શીખવી શકાય તેમ હોઈ તેમજ વિદ્યાર્થીઓને જમાનાની સાથે કદમથી કદમ મિલાવી શકે તે હેતુથી એક કરોડ ખર્ચે ટેકનોલોજી આધારિત, ડિજિટલ શિક્ષણ આપવામાં આવશે. વિદ્યાર્થીઓને ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સ માટે કોચિંગ આપવા 10 કરોડ ફાળવ્યાવિદ્યાર્થીઓનો સર્વાગી વિકાસ કરવા માટે રમતગમત એ એક મહત્વનું ક્ષેત્ર છે. મ્યુનિસિપલની શાળામાં બાળકોને ખેલો ઈન્ડિયા, ખેલ મહાકુંભ સ્કૂલ બોર્ડ દ્વારા આયોજીત રમતોત્સવ તથા વિવિધ રમત- ગમત એસોસિએશન સાથે મળી બાળકો માટેની રમતગમતની હરિફાઇનું આયોજન કરવામાં આવશે. હરિફાઈના અંતે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓની પસંદગી કરી તેમને રમતગમત માટેની જરૂરી સાધન-સામગ્રી આપવામાં આવશે તેમજ રમતગમત માટેના મેદાનો ડેવલોપ કરી વિદ્યાર્થીઓને ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સ માટે તૈયાર કરવા માટે કોચિંગ આપવા 10 કરોડની ફાળવવામાં આવ્યા છે. કન્યા કેળવણી ઉત્તેજન અને શાળા પ્રવેશોત્સવ માટે 22 કરોડ ફાળવવામાં આવ્યા છે. મીની લાયબ્રેરી ડેવલોપ કરવા માટે 10 કરોડ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની શાળાઓમાં બાલવાટિકાથી ધો. 8 સુધીનું પ્રારંભિક શિક્ષણ માત્રને માત્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ હસ્તકની પ્રાથમિક શાળામાં પૂર્ણ કર્યું હોય અને ધો. 6થી 8માં વાર્ષિક પરિણામમાં સરેરાશ 80 ટકા કે તેથી વધુ ગુણ મેળવેલ હોય અને સરકાર દ્વારા નિયત કરવામાં આવે તે મુજબની આવક મર્યાદા ધરાવતા તેમજ ધોરણ-12 પછી સ્નાતક કક્ષાના અભ્યાસક્રમના પ્રવેશ માટેની રાષ્ટ્રીય કક્ષાએથી લેવાતી કોમન એન્ટ્રસ ટેસ્ટમાં ઉર્તીણ થયેલા પૈકી જે વિદ્યાર્થીઓએ ભારતની UGC માન્ય સરકારી, અર્ધ સરકારી, ગ્રાન્ટ-ઇન-એઇડ અને સ્વનિર્ભર સંસ્થાઓમાં સ્નાતકના અભ્યાસ માટે પ્રત્યક્ષ શિક્ષણકાર્ય માટે પ્રવેશ મેળવ્યો હોય એવા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે. જે માટે 10 કરોડ રૂપિયા બજેટમાં ફાળવવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:53 pm

ઉધનાની પ્લાસ્ટિક ફેક્ટરીમાં 4 શ્રમિકોના મોત મામલે કાર્યવાહી:RMS પ્લાસ્ટના માલિક મેમણ બંધુની ધરપકડ, ફેક્ટરી છેલ્લા દોઢ વર્ષથી ફાયર NOC-સેફ્ટીના સાધનો વગર ધમધમતી હતી

સુરતના ઉધના વિસ્તારમાં આવેલી પ્લાસ્ટિક દાણા બનાવવાની ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગ અને તેમાં ચાર શ્રમિકોના કરુણ મોતની ઘટના બાદ ઉધના પોલીસે મોટી કાર્યવાહી કરી છે. 19 જાન્યુઆરીના રોજ બનેલી આ ઘટનામાં ઉધના પોલીસે આખરે ફેકટરી માલિક મેમણ બંધુઓની ધરપકડ કરી છે. ફેક્ટરીમાં સુરક્ષાના સાધનોનો અભાવ અને ફાયર NOC વગર ગેરકાયદેસર રીતે ચલાવવા બદલ કાર્યવાહી કરાઈ છે. શું હતી સમગ્ર ઘટના?ગત 19 જાન્યુઆરી, 2026ના રોજ ઉધના રોડ નંબર 3 પર આવેલી ઉમા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટ નંબર 18, 19 અને 20માં કાર્યરત 'RMS પ્લાસ્ટ' નામની ફેક્ટરીમાં સવારના સમયે અચાનક અફરાતફરી મચી ગઈ હતી. પ્લાસ્ટિકના દાણા બનાવતી આ ફેક્ટરીમાં રહેલું ક્રશર મશીન અચાનક ઓવરહીટિંગના કારણે ફાટ્યું હતું, જેના કારણે સમગ્ર પરિસરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ સમયે ફેક્ટરીમાં કામ કરી રહેલા પાંચ શ્રમિકો આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયા હતા અને ગંભીર રીતે દાઝી ગયા હતા. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, કમનસીબે સારવાર દરમિયાન પાંચ પૈકી ચાર શ્રમિકોએ દમ તોડી દીધો હતો, જ્યારે એક શ્રમિક હજુ પણ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. પોલીસ તપાસમાં માલિકોની ભયંકર બેદરકારી ઉઘાડી પડીઆ મામલે ઉધના પોલીસ સ્ટેશનના પીઆઈ શૈલેષ દેસાઈના માર્ગદર્શન હેઠળ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જે વિગતો બહાર આવી તે ચોંકાવનારી હતી. તપાસમાં ખુલ્યું કે આ ફેક્ટરી છેલ્લા દોઢ થી બે વર્ષથી કોઈ પણ જાતના ફાયર સેફ્ટીના સાધનો કે ફાયર વિભાગની એન.ઓ.સી. (NOC) વગર ધમધમતી હતી. એટલું જ નહીં, ફેક્ટરીના માલિકોએ ત્યાં કામ કરતા ગરીબ શ્રમિકોને કોઈ પણ પ્રકારના પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE) કે સેફ્ટી કીટ પૂરી પાડી નહોતી. જોખમી મશીનરી પાસે કોઈ પણ સુરક્ષા વગર કામ કરાવવું એ સીધો માનવ વધ સમાન બેદરકારી હોવાનું પોલીસ તપાસમાં જણાયું હતું. મેમણ બંધુઓની ધરપકડ અને કાયદેસરની કાર્યવાહીશ્રમિકોના મોતના મામલે અને સુરક્ષાના નિયમોના ધજાગરા ઉડાવવા બદલ ઉધના પોલીસે ફેક્ટરીના માલિકો વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં મોહમદ હુસેન રફીકભાઇ મેમણ (ઉં.વ. 37), મોહમદ અબ્દુલ કાદીર રફીકભાઇ મેમણ (ઉં.વ. 35) શામેલ છે. આ બંને ભાઈઓ ભાઠેના વિસ્તારની અમન સોસાયટીમાં રહે છે. પોલીસે જણાવ્યું હતું કે, આ બંને માલિકો જાણી જોઈને શ્રમિકોના જીવ જોખમમાં મૂકીને માત્ર નફા માટે એકમ ચલાવી રહ્યા હતા. તેમની પાસે ફેક્ટરી ચલાવવા માટેના જરૂરી લાયસન્સ હતા કે નહીં તે દિશામાં પણ હવે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. જરૂરી લાયસન્સ વગર જ ફેક્ટરી ચાલતી હતીઃ PIપીઆઈ શૈલેષ દેસાઈએ જણાવ્યું હતું કે, ગયા મહિનાની 19 તારીખે, ઉધના પોલીસ સ્ટેશનની હદમાં આવતા ભાઠેના વિસ્તારમાં RMS પ્લાસ્ટર નામની ફેક્ટરીમાં આગ લાગી હતી. આ ઘટનામાં પાંચ શ્રમિકો દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, RMS પ્લાસ્ટરના માલિકો ફાયર એન.ઓ.સી. અથવા ફેક્ટરીના નિયમો મુજબ જરૂરી લાયસન્સ વગર જ આ ફેક્ટરી ચલાવી રહ્યા હતા. આ ગંભીર બેદરકારી બદલ આરોપીઓ વિરુદ્ધ ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ હજુ ચાલુ છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ફેક્ટરી છેલ્લા દોઢથી બે વર્ષથી કાર્યરત હતી. હાલ તપાસ ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:41 pm

રોંગ સાઈડમાં આવી રહેલું ટ્રેલર દુકાનમાં ઘૂસ્યું:ખેડાથી લોખંડના એંગલ્સ ભરેલા ટ્રેલરનો વડોદરા નેશનલ હાઈ-વેમાં અકસ્માત સર્જાયો, રૂમની દિવાલ પડતા એક ઘાયલ, પાંચનો બચાવ

વડોદરાના નેશનલ હાઈવે-48 પર નંદેસરી પોલીસ મથક હદમાં ફરી એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. ખેડા તરફથી તમિલનાડુ જઈ રહેલું લોખંડની એંગલ્સ ભરેલું ટ્રેલર સાંકરદા બ્રિજ પાસે રોંગ સાઈડમાં આવતું હતું. ચાલકે સ્ટિયરિંગ પરથી એકાએક કાબૂ ગુમાવતા ટ્રેલર દુર્ગા એસ્ટેટના ગેટ પાસે આવેલી ડ્રાયફ્રૂટની દુકાન પાસે ધડાકાભેર ટકરાઈ ગયું હતું. અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્તઆ ટક્કર એટલી ભયાનક હતી કે, દુકાનની બાજુના રુમની દીવાલ તૂટી પડી હતી. રૂમમાં આરામ કરી રહેલા અમિતકુમાર રામ નામના એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ટ્રેલર ચાલકને પણ ઈજાઓ થતા તેમને પણ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. રૂમમાં સૂતા અન્ય છ લોકો બહાર નીકળી જવાથી આબાદ બચી ગયા હતા. ટ્રેલર ધમાકા સાથે અહીં ઘૂસી ગયું ઘટનાસ્થળે હાજર રહેલા વિનોદકુમારે જણાવ્યું હતું કે, અમે કામ માટે અહીં આવ્યા હતા અને રૂમમાં સૂતા હતા. અહીં સાત લોકો હતા. અચાનક ટ્રેલર ધમાકા સાથે અહીં ઘૂસી ગયું અને બધું નીચે પડી ગયું. અમે ભાગ્યા, પરંતુ એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે. તેમને હોસ્પિટલમાં ખસેડ્યા છે. ટ્રેલર ચાલકની ભૂલ અને અન્ય કારણોની ચકાસણી કરી નંદેસરી પોલીસે ઘટનાની તાત્કાલિક તપાસ હાથ ધરી છે અને ટ્રેલર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ અકસ્માતમાં કુલ બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. નેશનલ હાઈ-વે 48 પર વધતા ટ્રાફિક અને રોંગ સાઈડ ડ્રાઈવિંગને કારણે આવા અકસ્માતો વધી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. પોલીસે આ અંગે વધુ તપાસ કરી ટ્રેલર ચાલકની ભૂલ અને અન્ય કારણોની ચકાસણી કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:37 pm

અમરેલીની શાળાઓમાં સલામતી સપ્તાહનું આયોજન:વિદ્યાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપન અને ઇમરજન્સી સેવાઓનું માર્ગદર્શન અપાયું

અમરેલી જિલ્લામાં રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ શાળા સલામતી સપ્તાહ – 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ સપ્તાહ 27 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી, 2026 દરમિયાન યોજાઈ રહ્યો છે. તેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સલામતી અને આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ લાવવાનો છે. આ સપ્તાહ દરમિયાન જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં આગ સલામતી, આપત્તિ વ્યવસ્થાપન, પ્રથમ સારવાર, બાળ સુરક્ષા, 108 ઇમરજન્સી સેવા અને 1098 ચાઈલ્ડ હેલ્પલાઇન જેવા વિષયો પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને સંકટ સમયે કેવી રીતે સુરક્ષિત રહેવું, આપત્તિ સમયે યોગ્ય પ્રતિભાવ આપવો અને ઇમરજન્સી સેવાઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે પ્રાયોગિક રીતે સમજાવવામાં આવ્યું. આ દ્વારા તેમને વ્યવહારિક જ્ઞાન આપવામાં આવ્યું. આ સપ્તાહના કાર્યક્રમોમાં ફાયર વિભાગ, 108 ઇ.એમ.આર.આઈ., ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી, એનજીઓ તથા અન્ય સંબંધિત વિભાગો સહયોગ આપી રહ્યા છે. આ સંસ્થાઓ દ્વારા મોક ડ્રિલ, ડેમોન્સ્ટ્રેશન, પ્રેઝન્ટેશન અને સંવાદાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાની 75થી વધુ શાળાઓમાં આવા પ્રતિકાત્મક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં સલામતી પ્રત્યે જાગૃતિ, આત્મવિશ્વાસ અને સંકટ સમયે સમજદારીપૂર્વક વર્તવાની ક્ષમતા વિકસાવવાનો હેતુ છે. આ પહેલ શાળાઓમાં સુરક્ષિત અને સજાગ વાતાવરણ નિર્માણ કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. શાળા સલામતી સપ્તાહ દરમિયાન જિલ્લાના વિવિધ તાલુકાઓમાં યોજાયેલા કાર્યક્રમોમાં સંબંધિત વિભાગના અધિકારીઓ, શાળાના આચાર્યો, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:36 pm

કલેક્ટર મિહિર પટેલના હસ્તે ‘બનાસ પરીક્ષા પથદર્શક’ વિમોચન:ધોરણ 10-12ના છાત્રોને મળશે નિષ્ણાતોનું માર્ગદર્શન

બનાસકાંઠા જિલ્લાના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે 'બનાસ પરીક્ષા પથદર્શક' પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું છે. કલેક્ટર મિહિર પટેલના હસ્તે જાહેર કરાયેલી આ માર્ગદર્શિકા આગામી ફેબ્રુઆરી/માર્ચ-2026માં યોજાનારી બોર્ડ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે અને ઉત્કૃષ્ટ પરિણામો મેળવવામાં મદદ કરશે. આ વિશેષ પુસ્તિકા બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા તૈયાર કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને વાવ-થરાદ કલેક્ટર જે. એસ. પ્રજાપતિની પ્રેરણા તથા જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. હિતેષ પટેલના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. જી. ડી. ચૌધરી (EI) અને જે. કે. ઘાસુરાએ સંકલનકર્તા તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી. 'બનાસ પરીક્ષા પથદર્શક'ની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં દરેક વિષયના નિષ્ણાત શિક્ષકોના સંપર્ક નંબર તેમના અનુકૂળ સમય સાથે આપવામાં આવ્યા છે. આનાથી વિદ્યાર્થીઓ પોતાની વિષયલક્ષી મૂંઝવણો અંગે સીધો સંવાદ કરી માર્ગદર્શન મેળવી શકશે, જેથી તેમની શૈક્ષણિક સમસ્યાઓનું ત્વરિત નિવારણ થઈ શકે. આ ઉપરાંત, પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને અનુભવાતા માનસિક તણાવના નિવારણ માટે મનોચિકિત્સકોના સંપર્ક નંબર પણ ઉપલબ્ધ કરાવાયા છે. પરીક્ષાના સુચારુ સંચાલન માટે જિલ્લા કંટ્રોલરૂમ નંબર અને તમામ ઝોનલ અધિકારીઓની વિગતો પણ આ પુસ્તિકામાં સમાવિષ્ટ છે, જે કોઈપણ અનિવાર્ય સંજોગોમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ આ 'બનાસ પરીક્ષા પથદર્શક' વિદ્યાર્થીઓ માટે અત્યંત લાભદાયી નીવડી હતી. તેના સકારાત્મક પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આ વર્ષે ફરીથી તેનું વિમોચન કરવામાં આવ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. હિતેષ પટેલે જણાવ્યું હતું કે, આ પુસ્તિકા વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારવામાં અને તેમને પરીક્ષાના ભયથી મુક્ત કરવામાં ખૂબ જ મદદરૂપ થશે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:35 pm

SIR મામલે કોંગ્રેસનો ચૂંટણીપંચ સામે ઉગ્ર વિરોધ:ફોર્મ નં.7 દ્વારા મતાધિકાર છીનવવાના ષડયંત્રના આક્ષેપો, CEO ગુજરાતને આવેદન

ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં SIR પ્રક્રિયાના બહાને સંગઠિત રીતે ફોર્મ નંબર 7 ભરાવી લોકોના મતાધિકાર ખતમ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના ગંભીર આક્ષેપ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ભારતીય ચૂંટણી પંચના CEO ગુજરાતને રૂબરૂ આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી. GPCC પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં થયેલી આ રજૂઆતમાં પૂર્વ રાજ્યસભા સાંસદ અમીબેન યાજ્ઞિક, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્યો ચંદનજી ઠાકોર, ગ્યાસુદ્દીન શેખ, પૂંજા વંશ, પ્રદેશ પ્રવક્તા ડૉ. અમિત નાયક, ઉપપ્રમુખ દશરથ તેમજ અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ચોક્કસ વર્ગના મતદારોને ટાર્ગેટ કરાયાનો આક્ષેપકોંગ્રેસના પ્રતિનિધિમંડળે જણાવ્યું હતું કે ગુજરાતની વિવિધ વિધાનસભાઓમાં ચોક્કસ રાજકીય પક્ષના કાર્યકરો દ્વારા ફોર્મ નંબર-7નો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ચોક્કસ વર્ગ તથા સમુદાયના મતદારોને ટાર્ગેટ કરીને નામ કાપવાની કામગીરી ચાલી રહી છે. એટલું જ નહીં, ગુજરાતને ગૌરવ અપાવનાર પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત વિભૂતિઓના નામ પણ મલિન ઈરાદા સાથે યાદીમાંથી કાઢવાની કોશિશ થઈ હોવાના પૂરાવાઓ રજૂ કરવામાં આવ્યા. ચૂંટણીપંચને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની અપીલકોંગ્રેસે આ સમગ્ર મામલે જવાબદારો સામે કાયદાકીય પગલાં લઈ ગુનો દાખલ કરવાની માગણી કરી હતી. સાથે SIR પ્રક્રિયા સંપૂર્ણપણે નિષ્પક્ષ, પારદર્શક અને પ્રામાણિક રીતે થાય તેવો વિશ્વાસ લોકમાનસમાં સ્થાપિત કરવા ચૂંટણીપંચને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી. આ રજૂઆત મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી, સચિવાલય, ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:32 pm

ભરૂચ કસક ગરનાળામાં ટ્રક ફસાઈ:લોખંડની એંગલમાં ફસાતા ટ્રાફિકજામ સર્જાયો

ભરૂચ શહેરના કસક ગરનાળામાં આજે બપોરના સમયે એક ટ્રક ફસાઈ જતાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ગરનાળામાં મોટા વાહનોના પ્રવેશને રોકવા માટે લગાવવામાં આવેલી લોખંડની એંગલમાં ટ્રક ફસાઈ ગઈ હતી, જેના કારણે સમગ્ર માર્ગ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. માહિતી મુજબ, મોટા વાહનો માટે પ્રતિબંધ હોવા છતાં એક ટ્રક ચાલક કસક ગરનાળામાં પ્રવેશી ગયો હતો. આ ટ્રક ગરનાળામાં લગાવેલી લોખંડની એંગલમાં ફસાઈ ગઈ હતી, જેના કારણે તે આગળ કે પાછળ ખસેડી શકાય તેમ ન હતી. ટ્રક ફસાતા જ ગરનાળાની બંને બાજુએ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. આ ઘટનાને કારણે નાના-મોટા વાહનચાલકો લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાયા હતા. ઘણા લોકો તેમના મહત્વપૂર્ણ કામો માટે સમયસર પહોંચી શક્યા ન હતા, જ્યારે સ્કૂલ વાહનો અને ઇમરજન્સી સેવાઓને પણ અવરજવરમાં મુશ્કેલી પડી હતી. નોંધનીય છે કે કસક ગરનાળામાં મોટા વાહનોના પ્રવેશને રોકવા માટે તંત્ર દ્વારા અગાઉ લોખંડની એંગલ લગાવવામાં આવી છે. તેમ છતાં, આવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે, જે ટ્રાફિક નિયંત્રણ અને દેખરેખની અસરકારકતા પર સવાલ ઉભા કરે છે. સ્થાનિક નાગરિકોએ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમનો મત છે કે ટ્રાફિક પોલીસની પૂરતી હાજરી અને નિયમભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહીના અભાવે આવી ઘટનાઓનું પુનરાવર્તન થાય છે. જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં પણ આવી સ્થિતિ સર્જાઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:17 pm

ગોધરામાં ઓરી નાબૂદી અભિયાનનો પ્રારંભ:ઓટો રિક્ષા દ્વારા શેરીએ-શેરીએ રસીકરણ માટે જનજાગૃતિ અભિયાન

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા ઓરીના રોગચાળાને નિયંત્રિત કરવા માટે ‘ઓરી નાબૂદી અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં ઓટો રિક્ષા પર લાઉડ સ્પીકર લગાવીને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ વિશેષ પ્રચાર અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય 9 માસથી 5 વર્ષના બાળકોને ઓરી (મીઝલ્સ) સામે સુરક્ષિત કરવાનો છે. ઓટો રિક્ષા દ્વારા ગલીએ-ગલીએ ફરીને વાલીઓને રસીકરણ કરાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. પ્રચાર દરમિયાન વાલીઓને તેમના 9 માસથી 5 વર્ષના બાળકને ઓરીની રસી અવશ્ય મુકાવવા વિનંતી કરવામાં આવે છે. શહેરમાં ઓરીનો રોગચાળો ફેલાઈ રહ્યો હોવાથી બાળકોના રક્ષણ માટે રસીકરણ અત્યંત જરૂરી છે. તારીખ 29, 30 અને 31ના રોજ સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી નજીકના આંગણવાડી કેન્દ્ર અથવા વેક્સિન સેન્ટર પર વિનામૂલ્યે ઓરીની રસીનો વધારાનો ડોઝ ઉપલબ્ધ રહેશે. આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત પંચમહાલ-ગોધરા દ્વારા આયોજિત આ અભિયાનમાં વાલીઓને કોઈપણ અફવા પર ધ્યાન આપ્યા વગર પોતાના બાળકને રસી અપાવી દેશના ભવિષ્યને સુરક્ષિત કરવા અપીલ કરાઈ છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:16 pm

બળાત્કાર-POCSOના કેસમાં 60 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરવી પડશે:વધુ સમય લાગશે તો અધિકારીની જવાબદારી, CP-SPને રિયલ-ટાઇમ મોનિટરિંગ કરવા સૂચના

રાજ્યમાં મહિલાઓ અને સગીર બાળાઓ પર થતા અત્યાચારોના કિસ્સામાં પીડિતોને ત્વરિત ન્યાય અપાવવા માટે સી.આઈ.ડી. (ક્રાઈમ અને રેલ્વેઝ) વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. પોલીસ મહાનિદેશક ડો. કે.એલ.એન. રાવ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર હવેથી બળાત્કાર અને પોક્સો હેઠળના તમામ ગુનાઓની તપાસ ફરજિયાતપણે 60 દિવસની અંદર પૂર્ણ કરી ચાર્જશીટ દાખલ કરવાની રહેશે. બળાત્કારના ગુનામાં વધુમાં વધુ 60 દિવસમાં તપાસ પૂર્ણ કરવાની રહેશેગુજરાત રાજ્યમાં મહિલાઓ અને સગીર બાળાઓ સામે થતા જાતીય અપરાધોને રોકવા અને પીડિતોને ઝડપી ન્યાય અપાવવા માટે પોલીસ વિભાગે કમર કસી છે. સી.આઈ.ડી. (ક્રાઈમ અને રેલ્વેઝ) વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. પોલીસ મહાનિદેશક ડો. કે.એલ.એન. રાવ દ્વારા તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ અધિક્ષકોને કડક સૂચના આપવામાં આવી છે કે મહિલા અને સગીર બાળા પરના બળાત્કારના ગુનાઓમાં હવેથી વધુમાં વધુ 60 દિવસમાં તપાસ પૂર્ણ કરવાની રહેશે. નવા ફોજદારી કાયદા (BNSS) હેઠળ મહિલા સુરક્ષા માટે CID ક્રાઈમનો કડક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. પોલીસ કમિશનર-જિલ્લા પોલીસ વડાઓને રિયલ-ટાઇમ મોનિટરિંગ કરવા સૂચનાભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) 2023 હેઠળ તપાસની ગુણવત્તામાં સુધારો કરવા માટે આ પગલું લેવાયું છે. કલમ 193(2) મુજબ જાતીય અપરાધોની એફ.આઈ.આર. નોંધાયાના બે મહિનાની અંદર તપાસ પૂર્ણ કરવી હવે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી માટે કાયદેસરની જવાબદારી બની ગઈ છે. રાજ્યના તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓને આ બાબતે રિયલ-ટાઇમ મોનિટરિંગ કરવા સૂચના અપાઈ છે. ડિજિટલ પુરાવા અને ફોરેન્સિક પર ખાસ ભાર મૂકાશેડિજિટલ પુરાવા અને ફોરેન્સિક પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. જેથી હવે ગુનાની સાબિતી માટે માત્ર નિવેદનો પૂરતા નહીં રહે. સાત વર્ષથી વધુની સજા હોય તેવા ગુનામાં ફોરેન્સિક નિષ્ણાતોની મુલાકાત અનિવાર્ય છે. તપાસની સમગ્ર પ્રક્રિયા અને પુરાવા એકત્ર કરવાની વિધિની વીડિયોગ્રાફી કરવી પડશેગુનાની તપાસની સમગ્ર પ્રક્રિયા અને પુરાવા એકત્ર કરવાની વિધિની વીડિયોગ્રાફી કરવી પડશે. જેથી કોર્ટમાં પુરાવા સાથે છેડછાડની શક્યતા ન રહે. આ સિવાય રાજ્યના તમામ પોલીસ મથકોએ E-GujCop પ્લેટફોર્મ પર કેસની વિગતો સમયસર અપડેટ કરવી પડશે. આ ડેટા સીધો જ 'ઇન્વેસ્ટિગેશન ટ્રેકિંગ સિસ્ટમ ફોર સેક્સ્યુઅલ ઓફેન્સિસ' (ITSSO) પોર્ટલ પર રિફ્લેક્ટ થશે. 60 દિવસથી વધુ સમય લાગશે તો અધિકારીની જવાબદારીઆ પોર્ટલ દ્વારા નેશનલ ડેટા સેન્ટર પરથી પણ રાજ્યના પર્ફોર્મન્સની સમીક્ષા કરવામાં આવશે. જો કોઈ કેસમાં 60 દિવસથી વધુ સમય લાગશે તો તે અધિકારીની જવાબદારી ગણાશે.પોલીસ મહાનિદેશક (સી.આઈ.ડી. ક્રાઈમ) ડો. કે.એલ.એન. રાવ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે તમામ પોલીસ વડાઓએ પોતાના જિલ્લા કે શહેરમાં નોંધાયેલા આવા કેસોની નિયમિત સમીક્ષા કરવી અને તપાસમાં કોઈપણ પ્રકારનો વિલંબ ન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:13 pm

મહારાષ્ટ્રના ડેપ્યુટી CMના દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું બે દિવસ પહેલા સુરતમાં લેન્ડિંગ:ચાર્ટર્ડ પ્લેનમાં 25-26 જાન્યુ.એ ISPL ક્રિકેટ લીગના VVIPઓ મુંબઇથી સુરત આવ્યા હતા

મહારાષ્ટ્રના ડેપ્યુટી મુખ્યમંત્રી અજિત પરવાર બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ સમયે બુધવારે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે, ત્યારે દુર્ઘટનાગ્રસ્ત વિમાન સાથે સુરતનું પણ કનેક્શન હોવાથી શહેરમાં ચર્ચાનો દોર શરૂ થયો છે. આજ વિમાન બે દિવસ અગાઉ સુરતમાં રમાઈ રહેલી ISPLની એક ક્રિકેટ ટીમના ઓનરનો પરિવાર સુરત આવ્યો હોવાની માહિતી જાણવા મળી રહી છે. આ વિમાન 25-26 જાન્યુઆરીના રોજ સુરત એરપોર્ટ પર આવ્યું હતું. દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું 25-26 જાન્યુ.એ સુરત એરપોર્ટ લેન્ડિંગમહારાષ્ટ્રના પુણે જિલ્લાના બારામતીમાં વિમાન દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું અવસાન થયું છે. વિમાનમાં સવાર અન્ય ચાર લોકોના પણ મોત થયા છે. VSR વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીના મીડ સાઇઝ બિઝનેસ ચાર્ટર્ડ જેટ લિવરેજટ-45 વિમાન બે દિવસ પહેલા એટલે કે 25 અને 26 જાન્યુઆરીએ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવ્યું હતું. સુરતમાં રમાતી ISPL ટુર્નામેન્ટ માટે એક ટીમના ઓનરનો પરિવાર આજ પ્લેનમાં સુરત આવ્યો હોવાની ચર્ચા છે. કોલકાતા ટીમના ઓનરનો પરિવાર મુંબઇથી સુરત આવ્યો હતોમળતી માહિતી મુજબ સુરતમાં રમાતી ISPLની કોલકાતાની ટીમના ઓનરના પરિવારના સભ્યો સહિત 10 લોકો આજ વિમાનમાં બે દિવસ અગાઉ મુંબઇથી સુરત આવ્યા હતા. આ વિમાન મુંબઇથી સવારે સુરત આવ્યું હતું અને રાત્રિના ફરી સુરતથી મુંબઇ તરફ ટેકઓફ થયું હતું. આ વિમાનમાં કમ્બોઝ, સચદેવ યાદવ અને લખેકર અટકધારી મુસાફરોએ પ્રવાસ કર્યો હતો. સુરત એરપોર્ટ પર વિમાનની રૂટિન તપાસ કરાઈ હતીસુરત એરપોર્ટ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ વિમાન 26 જાન્યુઆરીએ સુરતમાં હતું. તે મુંબઇથી આવ્યું ત્યારે એનો એર વર્ધીનેશ સર્ટિફિકેટની તપાસ કરવામાં આવી હતી. વિમાન લેન્ડ થયું ત્યારે અને સુરતથી ટેક ઓફ થયું ત્યારે એની રૂટિન તપાસ થઈ હતી. વિમાનનું સંચાલન કરનાર કંપની પાસે DGCAનું એર વર્ધીનેશ સર્ટિફિકેટ હતું. ISPL જોવા સેલિબ્રિટીઝ પણ આ વિમાનમાં આવ્યા હતાસુરત એરપોર્ટ પર વિમાનની લેન્ડિંગ અને સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રક્રિયાઓ પૂર્ણ થઈ હતી. એરપોર્ટના સૂત્રોના જણાવ્યા મુજબ આ વિમાનની ગત દિવસોમાં પણ સુરત એરપોર્ટ પર અવરજવર રહી હતી. સુરતમાં ચાલી રહેલી ISPL જોવા માટે કેટલાક સેલિબ્રિટીઝ પણ આ વિમાનમાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:12 pm

જીમ અને ફિટનેસનો ક્રેઝ યુવાઓ માટે જીવલેણ:શરીર બનાવવાના શોર્ટકટમાં કીડની ફેલ્યોર સુધીની બીમારીના શિકાર બને છે, ડાયટિશિયને આપી ચેતવણી

આજકાલ યુવા પેઢીમાં જીમ અને ફિટનેસનો ક્રેઝ સતત વધી રહ્યો છે. શરીર બનાવવાની દોડમાં યુવાનો પ્રોટીન પાઉડર અને જુદા-જુદા સપ્લિમેન્ટ્સનો આડેધડ ઉપયોગ કરી રહ્યા છે પરંતુ, આ ટ્રેન્ડ આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી રહ્યો હોવાની ચેતવણી ઘણા નિષ્ણાતોએ આપી છે. લાંબા ગાળે શરીર માટે ઘાતક સાબિત થઈ શકે સિવિલ હોસ્પિટલ, અસારવા ખાતે ફરજ બજાવતા ક્લિનિકલ ડાયેટિશિયન દલ્લિકા ખીમસૂર્યાના જણાવ્યા અનુસાર આજના સમયમાં ઘણા યુવાનો કોઈપણ તબીબી કે પોષણ નિષ્ણાતની સલાહ લીધા વગર બજારમાં ઉપલબ્ધ પ્રોટીન પાઉડરનો ઉપયોગ કરે છે, જે લાંબા ગાળે શરીર માટે ઘાતક સાબિત થઈ શકે છે. ખાસ કરીને યુવાનોમાં આ અંગે પૂરતી જાગૃતિનો અભાવ જોવા મળે છે. પ્રોટીન લેવાથી કિડની પર વધારાનો ભાર પડે છેડાયેટિશિયન જણાવે છે કે, શરીરને પ્રોટીનની જરૂર છે પરંતુ, તે જરૂરિયાત કુદરતી ખોરાકમાંથી સરળતાથી પૂરી થઈ શકે છે. દૂધ, દહીં, પનીર, દાળ, કઠોળ, ડ્રાય ફ્રૂટ્સ અને નટ્સ પ્રોટીનના ઉત્તમ અને સલામત સ્ત્રોત છે. તેમણે ઘરેલુ પ્રોટીન પાઉડરની પણ સલાહ આપી છે. રાગી, મખાના, બદામ, પિસ્તા અને કાજુને દળી પાઉડર બનાવી લેવાથી પૌષ્ટિક અને સુરક્ષિત વિકલ્પ મળી શકે છે. બજારમાં મળતા પ્રોટીન પાઉડરનો વધુ કે ખોટી રીતે ઉપયોગ કરવાથી કિડની અને લિવર સંબંધિત ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. વધુ પ્રમાણમાં પ્રોટીન લેવાથી કિડની પર વધારાનો ભાર પડે છે, જેના કારણે લોહી ફિલ્ટર કરવાની પ્રક્રિયામાં તણાવ વધે છે અને કિડનીનું સ્વાસ્થ્ય બગડી શકે છે. પ્રોટીન પાઉડર અચાનક બંધ કરો તો શરીરમાં અનેક સમસ્યાઓ ઊભી થઈ શકેઆ ઉપરાંત, પ્રોટીન પાઉડરનો અતિશય ઉપયોગ હૃદયરોગને આમંત્રણ આપી શકે છે. બ્લડ પ્રેશરમાં વધારો, હૃદયના ધબકારા તેજ થવા તેમજ હાર્ટ એટેકનો જોખમ પણ વધી શકે છે. કેટલાક કિસ્સાઓમાં પ્રોટીન પાઉડર જીવલેણ સાબિત થઈ શકે છે તેમ નિષ્ણાતોનું માનવું છે. ડાયેટિશિયન વધુમાં જણાવે છે કે, જો કોઈ વ્યક્તિ પ્રોટીન પાઉડર અચાનક બંધ કરે, તો ભૂખમાં ઘટાડો, વજનમાં અચાનક ફેરફાર, મસલ માસ ઘટવું, હોર્મોનલ અસંતુલન, બ્લડ પ્રેશર અને કિડની સંબંધિત સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ ખાસ સાવચેતી રાખવી જોઈએ, કારણ કે આવા સપ્લિમેન્ટ્સ કિડનીને વધુ નુકસાન પહોંચાડી શકે છે. ફિટ રહેવા માટે શોર્ટકટ અપનાવવાની આદત ખતરનાકએક બાજુ લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધી રહી છે, લોકો કસરત અને યોગ તરફ વળી રહ્યા છે, પરંતુ બીજી બાજુ ફિટ રહેવા માટે શોર્ટકટ અપનાવવાની આદત ખતરનાક સાબિત થઈ રહી છે. નિષ્ણાતો સલાહ આપે છે કે કોઈપણ પ્રકારના પ્રોટીન સપ્લિમેન્ટ્સ લેતા પહેલા ડાયેટિશિયન અથવા તબીબી નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે અને સંતુલિત આહાર તથા કુદરતી પ્રોટીન પર જ ભાર મૂકવો જોઈએ.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:08 pm

રાજકોટના ન્યૂરો સર્જને ઓપરેશન થિયેટરમાં કોમેડી રીલ બનાવી!:ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યા બાદ વિવાદ થતા ડિલિટ મારી, વોકહાર્ટ હોસ્પિટલનું મૌન

રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ સાથે જોડાયેલા ન્યૂરોસર્જન ડો.જીગરસિંહ જાડેજાએ ઓપરેશન થિયેટરમાં બનાવેલી કોમેડી રીલ સોશિયલ મીડિયામાં વાઈરલ થતા વિવાદ સર્જાયો છે. ડો. જીગરસિંહ જાડેજાએ આ રીલ પોતાના ઈન્સટાગ્રામ પર અપલોડ કરી હતી પરંતુ, વિવાદ થતા દૂર કરી દીધી હોવાનું સામે આવ્યું છે. ભાસ્કરે આ મામલે વોકહાર્ટ હોસ્પિટલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા PROએ કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. ઓપરેશન થિયેટરમાં ચાલુ ઓપરેશન દરમિયાન બનાવેલી રીલ વાઈરલરાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં ન્યૂરોસર્જન તરીકે કાર્યરત ડો. જીગરસિંહ જાડેજાએ ઓપરેશન થિયેટરમાં એક કોમેડી રીલ બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરતા વિવાદ સર્જાયો છે. વિવાદ વકરે તે પહેલા જ તબીબ દ્વારા આ રીલ ડિલિટ કરી નાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તબીબની વાઈરલ રીલને લઈ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યોસૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે વોકહાર્ટ હોસ્પિટલના તબીબ ડૉ. જીગરસિંહ જાડેજાનો એક વીડિયો જાહેર કર્યો છે. જે ઈન્સ્ટાગ્રામ પર રીલ સ્વરૂપે મૂકવામાં આવેલો છે. જેમાં ડોક્ટર એવું કહી રહ્યા છે કે, 'ઝીરો સિવિક સેન્સ. યે નહીં કોઈ બંદા ઓપરેશન થિયેટર મેં રીલ બના રહા હૈ, વિડીયો બના રહા હૈ ઔર પીછે સે આકે ઓપરેશન શુરુ કર દેતે હૈ. કહા જાયેગા યે રીલ. ઓર એસા ભી નહીં કે સોરી બોલે યે દેખો હસ રહા હૈ'. કોંગ્રેસ પ્રવક્તા વધુમાં જણાવે છે કે, એક તરફ દર્દી બેભાન છે અને ગંભીર હાલતમાં છે ત્યારે ડૉક્ટર કોમેડી રીલ બનાવી રહ્યા છે. જીવન બચાવવાનું પવિત્ર સ્થળ ગણાતું ઓપરેશન થિયેટર શું હવે સોશિયલ મીડિયા કન્ટેન્ટ બનાવવાનું સ્થળ બની ગયું છે ? તેવો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. સોશિયલ મીડિયાના જમાનામાં હવે હદ પાર થઈ ગઈ છે.લાઇક્સ અને વ્યૂઝની દોડમાં માનવતા, નૈતિકતા અને વ્યાવસાયિક જવાબદારીને નેવે મૂકી દેવામાં આવી હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે. સમગ્ર મામલે હોસ્પિટલ તંત્રનું મૌનરીલ વાયરલ થતા જ જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.લોકો ખુલ્લેઆમ પૂછે છે કે, શું ડૉક્ટર માટે દર્દીની જિંદગી કરતાં રીલ વધુ મહત્વની બની ગઈ છે? ભાસ્કરે વોકહાર્ટ હોસ્પિટલનો પક્ષ જાણવા માટે હોસ્પિટલના PROનો ટેલિફોનિક સંપર્ક કરતા PROએ જણાવ્યું હતું કે, આ મામલે હોસ્પિટલ મેનેજમેન્ટ કંઈપણ કહેવા માગતું નથી. એક તબીબ તરીકે ઓપરેશન થિયેટરમાં રીલ બનાવવી જોઈએ નહીં- ડો. જયેશ વાંકાણીઆ બાબતે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલ ની પ્રિમાઇસીસમાં ડોક્ટર રીલ બનાવી શકે છે. છે વિડીયો વાયરલ થયો છે તેમાં એનેસ્થેટિસ્ટ દ્વારા દર્દીને એનેસ્થેસિયાનો ડોઝ આપેલો છે. આ વીડિયોમાં ઓપરેશન કરતા ડોક્ટર કે દર્દીની આઇડેન્ટિટી જાહેર થતી નથી. જોકે એક તબીબ તરીકે કહું તો ઓપરેશન થિયેટરમાં રીલ બનાવવી ન જોઈએ.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:05 pm

બનાસકાંઠા LCBએ ડીસામાંથી જુગાર રમતા ચાર ઝડપ્યા:20,550નો મુદ્દામાલ જપ્ત, બે આરોપી વોન્ટેડ જાહેર

બનાસકાંઠા LCBએ ડીસા શહેરના ટેકરા વિસ્તારમાંથી ગંજીપાનાનો જુગાર રમતા ચાર વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ ₹20,550નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દરોડા દરમિયાન બે અન્ય આરોપીઓ નાસી છૂટ્યા હતા, જેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાથી, LCB પાલનપુર દ્વારા મિલકત સંબંધિત, પ્રોહિબિશન અને જુગારના ગુનાઓ શોધી કાઢવા માટે વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. LCB પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ ડીસા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે ડીસાના વાડી રોડ ટેકરા વિસ્તારમાં પાણીના ટાંકા પાસે રહેતો જયંતિભાઈ શંકરભાઈ પોતાના ઘરની બાજુમાં આવેલા ખુલ્લા વાડામાં ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમાડી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી રોકડા ₹18,050, 52 ગંજીપાના અને ₹2,500ની કિંમતનો એક મોબાઈલ ફોન મળી કુલ ₹20,550નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ-12 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓમાં જયંતિભાઈ શંકરભાઈ માજીરાણા (રહે. વાડી રોડ ટેકરા, ડીસા), દિનેશભાઈ ઈશ્વરભાઈ ઠાકોર (રહે. મેલડી માતાના મંદિર પાસે, વાડી રોડ ટેકરા, ડીસા), ગોવિંદભાઈ બાબુભાઈ માજીરાણા (રહે. વાડી રોડ ટેકરા, ડીસા) અને ગોરધનજી ગણેશજી ઠાકોર (રહે. જૂની જેલ ચાવડી વાસ, ડીસા) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પરેશજી બાજાજી ઠાકોર (રહે. વાડી રોડ ટેકરા, ડીસા) અને માજીદ જુહુરહુસેન કુરેશી (રહે. અખર, ગવાડી રાજપુર, ડીસા) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તેમને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 4:03 pm

ચાંદી રૂ. 4 લાખને પાર, ખરીદતા પહેલા જાણી લો તેજી પાછળના આ 10 કારણો

Today Silver Rate : ચાંદીની કિંમતમાં ફરી ધરખમ વધારો થયો છે. ચાંદીનો ભાવ રૂ.4 લાખને પાર થઈ ગયો છે. 29 ડિસેમ્બરના રોજ ચાંદીની કિંમત 2.50 લાખ હતી, ત્યારબાદ 16મી જાન્યુઆરીએ તેના ભાવમાં 30 ટકાનો વધારો થયો હતો. હવે માત્ર એક જ મહિનામાં ચાંદીન કિંમતમાં એક લાખ રૂપિયાથી વધુનો વધારો થયો છે.

ગુજરાત સમાચાર 29 Jan 2026 3:53 pm

સોડમતિયા પ્રાથમિક શાળામાં NSS કેમ્પનો ઉદ્ઘાટન:બી.એમ. કોમર્સ હાઈસ્કૂલ દ્વારા આયોજન, પરેશ ભટ્ટી મુખ્ય અતિથિ

ભાવનગર જિલ્લાના વરતેજ નજીક આવેલા સોડમતિયા ગામની પ્રાથમિક શાળા ખાતે ૨૮ જાન્યુઆરીના રોજ બી.એમ. કોમર્સ હાઈસ્કૂલ દ્વારા આયોજિત એન.એસ.એસ. (NSS) કેમ્પનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ભાવનગર જિલ્લા પરેશભાઈ ભટ્ટી મુખ્ય ઉદ્ઘાટક અને અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પરેશભાઈ ભટ્ટી ગુજરાતના પ્રથમ શ્રેષ્ઠ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર, કોળીયાક હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય અને ભાવનગર રેડ ક્રોસ સોસાયટીના ડેપ્યુટી સેક્રેટરી જેવા અનેક પદો પર કાર્યરત છે. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોનું પુસ્તક આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય અરવિંદભાઈ સોલંકીએ પ્રાસ્તાવિક ઉદબોધન આપ્યું હતું. પરેશભાઈ ભટ્ટીએ રાષ્ટ્રીય સેવા યોજનાના હેતુઓ સમજાવતા જણાવ્યું હતું કે, યુવાનોના સર્વાંગી વિકાસ અને વ્યક્તિત્વ ઘડતર માટે આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. શાળાના આચાર્ય મનીષભાઈ પરમારે શાળા સંકુલ અને ગામમાં સ્વચ્છતા તથા શિક્ષણનું વાતાવરણ નિર્માણ થાય અને લોકજાગૃતિ કેળવાય તેવા કાર્યક્રમો કરવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. એસ.એમ.સી. (SMC) ના અધ્યક્ષ બુધાભાઈએ કેમ્પ દરમિયાન કોઈપણ જરૂરિયાત માટે સહયોગ આપવાની ખાતરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેશભાઈ ભટ્ટે કર્યું હતું, જ્યારે આભાર વિધિ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર બીજલભાઈ ખેરે કરી હતી. આ પ્રસંગે શાળાના શિક્ષકો ભરતભાઈ મજેઠીયા, મહેશભાઈ ભટ્ટ અને ગુણવંતભાઈ મેતલીયા પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં એસ.એમ.સી.ના અધ્યક્ષ બુધાભાઈની વિશેષતા નોંધનીય હતી. તેઓ પોતે સાક્ષર ન હોવા છતાં, પોતાના ગામના તમામ બાળકો શિક્ષિત બને અને કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે પ્રતિબદ્ધ છે. બાળકોને ચાર-પાંચ કિલોમીટર દૂર વરતેજ અભ્યાસ માટે ન જવું પડે તે હેતુથી, તેમણે દાતાઓના સહયોગથી અને પોતાની મહેનતથી ધોરણ ૧ થી ૫ ની શાળાનું સુંદર બિલ્ડીંગ નિર્માણ કરાવ્યું છે, જે ખરેખર અભિનંદનને પાત્ર છે. કાર્યક્રમના બીજા સેશનમાં શાળાના પૂર્વ આચાર્ય પરેશભાઈ ત્રિવેદીએ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસ ઘડતર સંદર્ભે શ્રેષ્ઠ વ્યક્તિઓના ઉદાહરણો સાથે સુંદર રજૂઆત કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને વર્તમાન સ્પર્ધાત્મક સમયમાં પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવા અને સફળ વ્યક્તિત્વનું નિર્માણ કેવી રીતે કરવું તે અંગે પ્રોત્સાહિત કર્યા હતા. આ સેશનના અંતે પરેશભાઈ ત્રિવેદી તરફથી તમામ વિદ્યાર્થીઓને નાસ્તો પણ આપવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 3:45 pm

મોરબીમાં ઇસ્કોન ભક્તો દ્વારા શાળા વિદાય કાર્યક્રમ:વિદ્યાર્થીઓને ગીતા જ્ઞાન અને હરિનામ સંકીર્તન સાથે વિદાય અપાઈ

મોરબીના હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્રના ભક્તો દ્વારા 29 જાન્યુઆરી, 2026, ગુરુવારે નાની વાવડી માધ્યમિક શાળામાં એક વિશેષ વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓને ગીતા જ્ઞાન પીરસવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન, ગૌ.વા. ચતુરભાઈ માવજીભાઈ ફૂલતરીયાની યાદમાં તેમના પુત્ર સંજયભાઈ ફૂલતરીયા દ્વારા ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓને ભગવદ્દગીતા (તેના મૂળ રૂપે) ભેટ આપવામાં આવી હતી. ઇસ્કોનના ભક્તો દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓની વિદાય વિધિ હરિનામ સંકીર્તન અને ગીતા જ્ઞાન સાથે કરવામાં આવી હતી. હરિનામ સંકીર્તનમાં દરેક વિદ્યાર્થીએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે ઇસ્કોનના ભક્તો નિરંજન કેશવ પ્રભુ, અતુલ વિષ્ણુ દાસ, સચી પ્રાણ પ્રભુ, રવિ પ્રભુ તેમજ મિત પ્રભુ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના પ્રિન્સિપાલ ગઢીયા, પ્રદીપ જોષી અને સર્વે સ્ટાફે ઇસ્કોનના ભક્તોનો ભેટ આપીને આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 3:30 pm

વડોદરા જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતો જોગ:યોજનાઓનો લાભ લેવા માટે રાવપુરા કચેરીએ દસ્તાવેજોની ચકાસણી અને પોર્ટલ પર બિલ અપલોડિંગ ફરજિયાત

વડોદરા જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2025-26 દરમિયાન વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે જે ખેડૂતોએ I Khedut પોર્ટલ પર અરજી કરી હતી અને જેમને વિભાગ તરફથી પૂર્વમંજૂરી મળી ગઈ છે, તેમણે પોતાની પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવી પડશે. અરજી પ્રક્રિયા અને અંતિમ તારીખ પૂર્વમંજૂરી મેળવનાર તમામ બાગાયતદારોએ આગામી 15/02/2026 પહેલા પોતાની અરજી સાથેના જરૂરી સાધનિક કાગળો અને ખર્ચના અસલ બિલો I Khedut પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ આ દસ્તાવેજો સંબંધિત તાલુકા બાગાયત અધિકારીઓને જમા કરાવવાના રહેશે. સંપર્ક અને સહાય જો ખેડૂતોને આ પ્રક્રિયામાં કોઈ પણ મુશ્કેલી જણાય, તો તેઓ પોતાના તાલુકા બાગાયત અધિકારી અથવા નાયબ બાગાયત નિયામકની કચેરી, રાવપુરા પોલીસ સ્ટેશન પાછળ, વડોદરા (ફોન નં. 0265-2429153) ખાતે સીધો સંપર્ક કરી શકે છે. સમયમર્યાદા ચૂકી ન જવાય તે માટે વહીવટી તંત્ર દ્વારા આ તાકીદ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 3:29 pm

અમરપુરામાં રસ્તાના કામને લઈ સ્થાનિકો નારાજ:રસ્તાની ઓછી પહોળાઈ અને વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે લોકોને હાલાકી, રસ્તો પહોળો અને ઊંચો કરવા માગ

મહેસાણા શહેરના અમરપુરા વિસ્તારમાં હાલમાં ચાલી રહેલા રસ્તાના કામને લઈને સ્થાનિક રહેવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. રસ્તાની ઓછી પહોળાઈ અને કામ દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે લોકોને પડતી હાલાકી મુદ્દે સ્થાનિકોએ નગરપાલિકા કમિશનરને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવ્યું હતું. શાળાએ જતા બાળકો અને વાહનચાલકોને ભારે હાલાકીસ્થાનિક રહીશ કાન્તિભાઈએ વિગતો આપતા જણાવ્યું હતું કે, અમરપુરા વિસ્તારમાં રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ હાલમાં આ રસ્તો માત્ર 5 મીટરનો જ રાખવામાં આવ્યો છે. સ્થાનિકોની માગ છે કે ટ્રાફિક અને ભવિષ્યની જરૂરિયાતને જોતા આ રસ્તો 7 મીટર પહોળો કરવામાં આવે. વધુમાં, આ રસ્તાને બોર્ડની ઓરડીથી છેક સોય નિવાસ સુધી લંબાવવાની રજૂઆત પણ કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટર દ્વારા કામ શરૂ કરતા પૂર્વે કોઈ વૈકલ્પિક રસ્તો તૈયાર ન કરાતા શાળાએ જતા બાળકો અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તંત્ર દ્વારા અનિયમિત દબાણો દૂર કરાયઅન્ય એક રહીશ મનુભાઈએ જણાવ્યું કે, આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન દોઢથી અઢી ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે. આ પરિસ્થિતિને ટાળવા માટે રસ્તાની ઊંચાઈ વધારવી અત્યંત જરૂરી છે. રસ્તામાં આગળ જતાં થતા દબાણોને કારણે માર્ગ સાંકડો બની જાય છે, જેનાથી મોટા વાહનોની અવરજવર અશક્ય બને છે. રહીશોઓએ માગ કરી છે કે તંત્ર દ્વારા અનિયમિત દબાણો દૂર કરવામાં આવે અને રસ્તાને યોગ્ય પહોળાઈ તેમજ ઊંચાઈ સાથે તૈયાર કરવામાં આવે જેથી લોકોને કાયમી હાલાકીમાંથી મુક્તિ મળે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 3:29 pm

હાઈકોર્ટે એનિમલ વેલ્ફેર ફાઉન્ડેશનની PIL નકારી:પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને લાવીને કત્લ કરવા મામલે સમસ્યા હોય તો રોડ પર ઊભા રહીને દેખાવ કરો

ગુજરાત હાઇકોર્ટમાં જૂનાગઢથી એનિમલ વેલ્ફેર ફાઉન્ડેશન અને અહિંસા મહાસંઘ દ્વારા જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. અરજદારે જણાવ્યું હતું કે, આ જાહેર હિતની અરજી મૂંગા પ્રાણીઓને લઈને કરવામાં આવી છે. અરજદારો રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે. સકકરબાગ ઝૂ જૂનાગઢે ટેન્ડર બહાર પાડ્યુ છે કે, જેમાં ટેન્ડર મેળવનાર કોન્ટ્રાક્ટરે પ્રાણી સંગ્રહાલયમાં માંસાહારી પ્રાણીઓના ખોરાક માટે ભેંસ વંશને પ્રાણી સંગ્રહાલયમાં લાવીને તેનું કત્લ કરવાનું રહેશે પરંતુ, પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને લાવીને કત્લ કરી શકાય નહીં, તે કત્લ માટે નિયત જગ્યા હોય છે. પ્રાણી સંગ્રહાલય એ સ્લોટર હાઉસ નથી. આ વન વિભાગ અંતર્ગત આવતું પ્રાણી સંગ્રહાલય છે. જે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી અંતર્ગત પણ આવે છે. તેમાં વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટના નિયમો લાગૂ પડે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તેની હદમાં પ્રાણીઓના વેચાણ અને સ્લોટરને રેગ્યુલરાઇઝ કરે છે. અહીં પ્રાણી સંગ્રહાલયમાં કોન્ટ્રાકટર પ્રાણીઓ લાવી, કાપીને પ્રાણી સંગ્રહાલયને વેચશે. સિંહ કોઈને મારી નાખે તો સિંહને મારી નખાય છે, કેટલા સિંહ મનુષ્યોએ મારી નાખ્યાકોર્ટે કહ્યું હતું કે, માંસાહારી પ્રાણીઓ માંસ ખાશે. સકકરબાગ પ્રાણી સંગ્રહાલય જો કોર્પોરેશન હેન્ડલ ના કરતું હોય તો તેની જવાબદાર કેવી રીતે બને? કોન્ટ્રાક્ટ પણ JMC આપવાની નથી કે તેના વિસ્તારમાં સ્લેટર થવાનું નથી. માંસાહારી પ્રાણીઓ માટે માંસ સ્લોટર હાઉસમાંથી આવે તો ત્યાં પણ પ્રાણીઓ કપાશે જ ? તો પછી પ્રાણી સંગ્રહાલયમાં કપાય ઝૂ માં તમારે શું? પાંજરામાં પુરાયેલા પ્રાણીઓ માટે શા માટે પ્રશ્નો નથી ઉપડતા? સિંહ કોઈને મારી નાખે તો સિંહને મારી નખાય છે, કેટલા સિંહ મનુષ્યોએ મારી નાખ્યા! તેઓ જંગલમાં રહેવાયેલા ટેવાયેલા પાંજરામાં નહીં! તમારી માન્યતા બંધ બેસતી નથી એટલે? કોઈ જાહેર વિસ્તારમાં સ્લોટર થવાનું નથીઅરજદારે જણાવ્યું હતું કે, પ્રાણીઓને પ્રાણી સંગ્રહાલયમાં લાવીને સ્લોટર કરવાની જગ્યાએ પ્રમાણિત સ્લોટર હાઉસમાંથી જ માંસ લાવી માંસાહારી પ્રાણીઓને ખવડાવાય. કોર્ટે પૂછ્યું હતું કે, તમને ખબર છે કે ત્યાંથી પ્રાણીઓને યોગ્ય માંસ મળશે? માણસોને યોગ્ય ખાવા યોગ્ય મીટ મળતું નથી. આ કોઈ જાહેર વિસ્તારમાં સ્લોટર થવાનું નથી. પ્રાણી સંગ્રહાલયમાં તેઓએ મેનેજ કરવાનું છે, કોઈ વિઝિટર સામે પ્રાણીઓ નથી કપાવવાના. તમને સમસ્યા હોય તો રોડ ઉપર ઊભા રહીને દેખાવો કરો. માંસાહારી પ્રાણીઓ અને મનુષ્યના ઉપયોગ માટેના માંસ બંને મુદ્દા ભેગા કરો છોઆ મુદ્દો પ્રાણીઓ સામે પ્રાણીઓનો છે. કાલે ઊઠીને તમે કહેશો કે, જંગલમાં માંસાહારી પ્રાણીઓ શાકાહારીઓને મારી નાખે છે, તો તેમને જંગલમાંથી કાઢી મૂકો. તમે માંસાહારી પ્રાણીઓ અને મનુષ્યના ઉપયોગ માટેના માંસ એમ બંને મુદ્દા ભેગા કરો છો. કોર્ટે આ સાથે જ અરજી નકારી નાખી હતી.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 3:27 pm

ધરમપુર સગીરા અપહરણ કેસ:આરોપી જુડીશ્યલ કસ્ટડીમાં, મહારાષ્ટ્રથી છોડાવી પોક્સો કલમ ઉમેરાઈ

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં નોંધાયેલા સગીરા અપહરણ કેસમાં પોલીસને સફળતા મળી છે. સગીરાને મહારાષ્ટ્રથી સુરક્ષિત છોડાવ્યા બાદ આરોપી યુવકના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં તેને અદાલતમાં રજૂ કરી જુડીશ્યલ કસ્ટડીમાં મોકલી દેવાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ધરમપુર તાલુકાના એક શ્રમિક પરિવારની 17 વર્ષીય સગીરા આરોપી યુવકના છેલ્લા ત્રણ વર્ષથી સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં હતી. યુવકે સગીરાને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. ગત 19 જાન્યુઆરીના રોજ આરોપી યુવક સગીરાનું તેના માતા-પિતાના વાલીપણામાંથી અપહરણ કરી ગયો હતો. સગીરાના ગુમ થતાં પરિવારજનોએ શોધખોળ બાદ ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વલસાડ ST-SC સેલના DySP જે. કે. પટેલના નેતૃત્વ હેઠળ LCB અને ટેક્નિકલ સર્વેલન્સ ટીમે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. બાતમીના આધારે પોલીસે આરોપીને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો હતો. વલસાડ પોલીસે આરોપી યુવકને સગીરા સાથે ઝડપી પાડી, સગીરાનો કબજો મેળવ્યો હતો અને સગીરાને વલસાડ લાવી તેનું મેડિકલ પરીક્ષણ કરાવી નિવેદન નોંધવામાં આવ્યું હતું. તપાસમાં સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવતાં અપહરણની ફરિયાદમાં પોક્સો (POCSO) કલમ ઉમેરવામાં આવી હતી. DySP જે. કે. પટેલે રિમાન્ડ દરમિયાન આરોપી વિરુદ્ધ જરૂરી પુરાવા એકત્રિત કર્યા. આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જુડીશ્યલ કસ્ટડીમાં મોકલી દેવાયો છે. પોલીસે સગીરાનું મેડિકલ પરીક્ષણ કરાવી નિવેદન નોંધ્યું છે, જ્યારે આરોપીનું પણ મેડિકલ કરાવી કલમ 164 હેઠળ નિવેદનો નોંધવામાં આવ્યા છે. કેસની વધુ તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 3:25 pm

દાંતા હાઇવે પર ટ્રકે બાઇકચાલકને અડફેટે લીધો:ગંભીર ઇજા થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયો, પોલીસ તપાસ શરૂ

બનાસકાંઠા જિલ્લાના દાંતા હાઇવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક ટ્રકે બાઇક ચાલક પ્રભાત સોલંકીને અડફેટે લેતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ ઇજાગ્રસ્ત પ્રભાત સોલંકીને તાત્કાલિક દાંતા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમની ગંભીર હાલત જોતા વધુ સારવાર માટે તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા દાંતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, ટ્રક ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકો દ્વારા નેશનલ હાઇવે પર ફ્રુટની લારીઓના કારણે વારંવાર અકસ્માતો થતા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. આ લારીઓને હટાવવા માટે લોક માંગ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 3:25 pm

આણંદમાં 49 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત:આવતીકાલે CM ભૂપેન્દ્ર પટેલ આણંદને 23.40 કરોડના વિકાસકામોની ભેટ આપશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે આણંદ જિલ્લાની મુલાકાત લેશે. તેઓ ખંભાતના ચકડોળ ગ્રાઉન્ડ ખાતે સવારે 10:00 કલાકે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી કુલ ₹23.40 કરોડના ખર્ચે તૈયાર થયેલા અને તૈયાર થનારા 49 જેટલા વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ થનારા પ્રોજેક્ટ્સમાં વિવિધ વિભાગોના કામોનો સમાવેશ થાય છે. જેમાં માર્ગ અને મકાન વિભાગના સ્ટેટના 13 અને પંચાયતના 12 પ્રકલ્પો, શહેરી વિકાસ વિભાગના 10 મહત્વના પ્રોજેક્ટ્સ, શિક્ષણ વિભાગના 5 શૈક્ષણિક પ્રકલ્પો, પાણી પુરવઠા કલ્પસરના 5 જળસંચયના કામો અને આરોગ્ય વિભાગની 4 આરોગ્યલક્ષી સુવિધાઓનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રીમંડળના સભ્યો અને સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહેશે. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકી, જિલ્લા પ્રભારી સંજયસિંહ મહીડા, નાણાં રાજ્ય મંત્રી કમલેશ પટેલ, સાંસદ મિતેશ પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ સહિતના ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. આ કાર્યક્રમ ખંભાત વિધાનસભા અને આણંદ જિલ્લાના માળખાગત વિકાસ માટે અત્યંત મહત્વનો માનવામાં આવે છે. વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 3:22 pm

પ્રિન્સિપાલે ગેટ બંધ કરી દીધો ને પછી....!:ગેરકાયદે બાંધકામ રોકવા ગયેલી પાલિકા ટીમને પ્રિન્સિપાલે ગોંધી રાખતાં ગુનો દાખલ

નવસારી મહાનગરપાલિકાની ટીમને ગેરકાયદે બાંધકામ અટકાવવા ગયેલી સંસ્કાર ભારતી સ્કૂલના પ્રિન્સિપાલે બે કલાક સુધી ગોંધી રાખી હતી. પાલિકાના સર્વેયરે પ્રિન્સિપાલ વિરુદ્ધ ફરજમાં રૂકાવટની ફરિયાદ વિજલપોર પોલીસ મથકે નોંધાવી છે. આ ઘટનાને પગલે શહેરમાં ચર્ચા શરૂ થઈ છે. પાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગના સર્વેયર શ્રેયશ કમલેશભાઈ ઢીમ્મરને ફરિયાદ મળી હતી કે વિજલપોર સ્થિત સંસ્કાર ભારતી સ્કૂલમાં રજાચીઠ્ઠી વગર ગેરકાયદેસર રીતે ટોયલેટ-બાથરૂમનું બાંધકામ ચાલી રહ્યું છે. આ ફરિયાદના આધારે ગઈકાલે બપોરે 1:30 વાગ્યે સર્વેયર તેમની ટીમ અને 15 જેટલા મજૂરો સાથે તપાસ કરવા પહોંચ્યા હતા. પાલિકાની ટીમે બાંધકામની પરવાનગી માંગી ત્યારે સ્કૂલ સત્તાધીશો પાસે કોઈ આધાર નહોતો. આથી ટીમે બાંધકામનો સામાન જપ્ત કરી ટેમ્પામાં ભરવાનું શરૂ કર્યું. આ દરમિયાન સ્કૂલના પ્રિન્સિપાલ પ્રિતેશભાઈ ગજેરા ત્યાં ધસી આવ્યા અને સામાન ભરવા સામે વિવાદ કર્યો. તેમણે સ્કૂલનો મુખ્ય ગેટ બંધ કરાવી પાલિકાની ટીમને અંદર જ ગોંધી દીધી હતી. પ્રિન્સિપાલે 112 પર ફોન કરી પોલીસ બોલાવી હતી અને સ્થાનિક પત્રકારોને પણ સ્થળ પર તેડાવ્યા હતા. તેમણે મીડિયા સમક્ષ પાલિકા વિરુદ્ધ નિવેદનો આપી ધમકી આપી કે જ્યાં સુધી ટેમ્પામાંથી સામાન ઉતારવામાં નહીં આવે ત્યાં સુધી ગેટ ખોલવામાં આવશે નહીં. આશરે બે કલાક સુધી પાલિકાના કર્મચારીઓને અટકાવી રાખી, દબાણ હેઠળ સામાન ઉતરાવ્યા બાદ જ તેમને જવા દેવામાં આવ્યા હતા. આ ઘટના અંગે સર્વેયર શ્રેયશ ઢીમ્મરે વિજલપોર પોલીસ મથકમાં પ્રિન્સિપાલ પ્રિતેશભાઈ ગજેરા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 221, 224 અને BNSS ની કલમ 174 મુજબ નોન-કોગ્નિઝેબલ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. આ મામલે વિજલપોર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ દેવરાજ લાડુમોર ને પૂછતા તેમણે જણાવ્યું કે ફરિયાદ નોંધાઈ ગઈ છે કેસની તપાસ માટે સંસ્કાર ભારતી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ રિતેશ ગજેરાને આગામી સમયમાં બોલાવવામાં આવશે શાળાના પ્રિન્સિપાલ અતુલ ગજેરાએ ગઈકાલે દિવ્ય ભાસ્કરને આપેલા માહિતી મુજબ પાલિકા પાસે કોઈ લેખિત નોટિસ કે આદેશ નહોતો. માત્ર કમિશનરના મૌખિક આદેશનો હવાલો આપીને કામગીરી રોકવાનો પ્રયાસ કરાયો છે. પાછળ આવેલા એપાર્ટમેન્ટના 3-4 રહીશોની ફરિયાદને આધારે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. સંચાલકોએ જણાવ્યું કે ખાનગી જગ્યામાં ક્યાં બાંધકામ કરવું તે અમારો અધિકાર છે, છતાં અમને જગ્યા બદલવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.શાળાના ટ્રસ્ટીઓએ સ્પષ્ટ કર્યું છે કે અમે સરકારી કાયદાઓનું પાલન કરવા બંધાયેલા છીએ અને વહીવટી તંત્રને સહયોગ આપવા પણ તૈયાર છીએ. પરંતુ જે રીતે મૌખિક આદેશથી આ કામ અટકાવવામાં આવ્યું છે, તે અંગે અમે જરૂરી પરવાનગીઓ અને કાયદાકીય પાસાઓની તપાસ કરી આગળની કાર્યવાહી કરીશું.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 3:11 pm

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર એરપોર્ટ પહોંચ્યા:સાંસદ પરિમલ નથવાણી, ધારાસભ્યો સહિતે સ્વાગત કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આજે જામનગર એરપોર્ટ ખાતે આગમન થયું હતું. તેમનું સ્વાગત કરવા માટે રાજકીય આગેવાનો અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીના વિમાન ઉતરાણ બાદ રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી, પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તથા દિવ્યેશભાઈ અકબરીએ પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરસર અને ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા પણ હાજર રહ્યા હતા. વહીવટી તંત્ર તરફથી જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની અને ડેપ્યુટી કમિશનર ઝાલાએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત, અગ્રણી આગેવાનો બીનાબેન કોઠારી, ડો. વિનુભાઈ ભંડેરી, કેતન નાખવા, વિજયસિંહ જેઠવા અને આશિષભાઈ જોશી સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 3:09 pm

તારાપુરના NRI હસમુખભાઈ પટેલે 11 કરોડનું ભૂમિદાન કર્યું:સરકારી કોલેજ, નગરપાલિકા, લાયબ્રેરી માટે જમીન; અન્ય સંસ્થાઓને પણ દાન

તારાપુરના NRI દાતા હસમુખભાઈ શિવાભાઈ પટેલનો ગ્રામજનો દ્વારા ભવ્ય સન્માન સમારંભ યોજાયો હતો. મૂળ તારાપુરના અને હાલ અમેરિકામાં રહેતા હસમુખભાઈ પટેલે સરકારી કોલેજ, નગરપાલિકા ભવન અને સરકારી લાયબ્રેરી માટે ₹11 કરોડની કિંમતની જમીનનું દાન કર્યું છે. આ ઉપરાંત તેમણે નગરપાલિકાના બાકી વીજ બિલ, મદનમોહન હવેલી અને APMC માટે પણ મોટી રકમનું દાન આપ્યું છે. ખંભાત રોડ પર આવેલી આ કિંમતી જમીન તારાપુરના વિકાસ માટે સમર્પિત કરવામાં આવી છે. આ ભૂમિદાનથી તારાપુરમાં મહત્વપૂર્ણ સરકારી સંસ્થાઓના નિર્માણનો માર્ગ મોકળો થયો છે. જમીનદાન ઉપરાંત, હસમુખભાઈ પટેલે નગરપાલિકાના બાકી વીજ બિલ ભરવા માટે કુલ ₹31 લાખનું દાન આપ્યું છે, જેમાં અગાઉ અપાયેલા ₹20 લાખ અને સમારંભ દરમિયાન અપાયેલા ₹11 લાખનો સમાવેશ થાય છે. તેમણે મદનમોહન હવેલીના હોલ માટે ₹25 લાખ અને તારાપુર APMC માટે ₹25 લાખનું દાન પણ આપ્યું હતું, આમ કુલ ₹50 લાખનું વધારાનું દાન કર્યું. આ સન્માન સમારંભ ધારાસભ્ય વિપુલભાઈ પટેલ અને ભામાશા શૈલેષભાઈ કાંતિભાઈ પટેલના મુખ્ય મહેમાન પદે યોજાયો હતો. ધારાસભ્ય વિપુલભાઈ પટેલે સોજીત્રા વિધાનસભા પરિવાર અને તારાપુર તાલુકા વતી દાતા હસમુખભાઈ શિવાભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખ ભુપેન્દ્રભાઈ પટેલ, લાયન્સ ક્લબના ચેરમેન ચિરાગભાઈ શાહ, અર્બન બેંકના ચેરમેન ઠાકોરભાઈ પટેલ, તારાપુર ભાજપ સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં નગરજનો અને તાલુકાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 3:07 pm

ઈસરવાડા સીમમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો:સુરેન્દ્રનગર જિલ્લાના યુવકની ઓળખ, પોસ્ટમોર્ટમ શરૂ

તારાપુર-વટામણ સ્ટેટ હાઈવે પર ઈસરવાડા ગામની સીમમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ દ્વારા મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દેવાયો છે. પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસને માહિતી મળ્યા બાદ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ દરમિયાન મૃતક યુવાનની ઉંમર આશરે 25 થી 30 વર્ષ હોવાનું જણાયું હતું. તેણે કાળા રંગનું જેકેટ, સફેદ ઊભી લાઈનિંગવાળું રાખોડી શર્ટ અને બ્લુ જીન્સ પેન્ટ પહેર્યું હતું. પોલીસની વધુ તપાસમાં મૃતક સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ખાખરવાડી ગામનો વિષ્ણુભાઈ વિનોદભાઈ ઉદરેજીયા હોવાનું સામે આવ્યું હતું. પરિવારજનોના જણાવ્યા અનુસાર, વિષ્ણુભાઈ અસ્થિર મગજના હતા અને છેલ્લા સાત-આઠ દિવસથી ઘરેથી ગુમ હતા. તારાપુરના પીઆઈ કે. ડી. બ્રહ્મભટ્ટના જણાવ્યા મુજબ, મૃતક યુવાનના શરીર પર કોઈ ઈજાના નિશાન મળ્યા નથી. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થશે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 3:02 pm

SPRERI ખાતે ICAR-AICRP વર્કશોપનો પ્રારંભ:કૃષિ મંત્રીએ 'વિકસિત ભારત' માટે સંશોધકોને આહવાન કર્યું

સરદાર પટેલ રિન્યુએબલ એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SPRERI) દ્વારા આયોજિત ICAR-AICRP (એનર્જી ઇન એગ્રીકલ્ચર એન્ડ એગ્રો-ઇન્ડસ્ટ્રીઝ)ની 29મી વાર્ષિક નેશનલ વર્કશોપનો ગુરુવારે BVM એન્જિનિયરિંગ કોલેજ ખાતે પ્રારંભ થયો. ત્રણ દિવસીય આ વર્કશોપમાં રાજ્યના કૃષિ મંત્રી જિતુ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન સમારોહમાં કૃષિ મંત્રી જિતુ વાઘાણીએ ખેડૂતો અને વૈજ્ઞાનિકોને નવી ટેકનોલોજી દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં જોડાવા પ્રેરિત કર્યા. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત'ના સ્વપ્નને સાકાર કરવા માટે કૃષિ અને ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવું જરૂરી છે. મંત્રીએ સંશોધકોને એવા સાધનો અને પદ્ધતિઓ વિકસાવવા આહવાન કર્યું જે સીધી રીતે ખેડૂતોના ખેતર સુધી પહોંચે અને તેમની આવકમાં વધારો કરે. તેમણે કુદરતી ખેતી અને ટકાઉ વિકાસ પર પણ ભાર મૂક્યો. ICAR (નવી દિલ્હી)ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડૉ. એસ. એન. ઝાએ અધ્યક્ષીય ઉદ્ઘોષણમાં જણાવ્યું કે, ખેતીમાં આધુનિક મશીનોનો ઉપયોગ વધવો જોઈએ, પરંતુ તેની સાથે પરંપરાગત ખેતીનું મહત્વ પણ જળવાઈ રહેવું જોઈએ. તેમણે SPRERI જેવી સંસ્થાઓને ઉદ્યોગો અને ખેડૂતો વચ્ચે કડી સમાન ગણાવી. આ વર્કશોપમાં દેશભરની 16 પ્રતિષ્ઠિત સંસ્થાઓના પ્રતિનિધિઓ અને 250થી વધુ સંશોધકો તેમજ ખેડૂતોએ હાજરી આપી હતી. આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિએ ઉલ્લેખ કર્યો કે યુનિવર્સિટીના તમામ વિભાગો 100% સોલરાઇઝેશન તરફ આગળ વધી રહ્યા છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય યોગેશ પટેલ, AAUના કુલપતિ ડૉ. કે. બી. કથિરિયા, CVMના ચેરમેન ભીખુભાઈ પટેલ, ICARના ડૉ. કે. પી. સિંહ, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ડૉ. વી. કે. ભાર્ગવ અને SPRERIના ડાયરેક્ટર ડૉ. અનિલ કુમાર દુબે મંચસ્થ રહ્યા હતા. અંતે વૈજ્ઞાનિક ડૉ. મુકુલ દુબેએ આભારવિધિ કરી હતી.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 2:56 pm

શંખેશ્વરમાં બોગસ ડોક્ટર ઝડપાયો:ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો, દવાઓ-સાધનો જપ્ત

પાટણ એસ.ઓ.જી. શાખાએ શંખેશ્વર તાલુકાના સુબાપુરા ગામમાંથી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. આ શખ્સ કોઈપણ મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતો હતો. પોલીસે તેની પાસેથી એલોપેથીક દવાઓ અને તબીબી સાધનો સહિત કુલ રૂ. 4094.02નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પાટણ એસ.ઓ.જી. શાખાના પોલીસ કર્મચારીઓ 28 જાન્યુઆરી, 2026ના રોજ શંખેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે સમયે તેમને બાતમી મળી હતી કે સુબાપુરા ગામના બસ સ્ટેશન પાસે આવેલી એક દુકાનમાં એક શખ્સ ડોક્ટરની ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે બે પંચોને સાથે રાખીને દુકાન પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન દુકાનમાં હાજર શખ્સનું નામ કાંતિભાઈ ભુરાભાઈ રાવળ (રહે. રાફુ, તા. સમી, જી. પાટણ) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેની પાસે તબીબી પ્રેક્ટિસ માટે જરૂરી મેડિકલ ડિગ્રી કે લાયસન્સ માંગતા, તે રજૂ કરી શક્યો નહોતો. આરોપીએ કબૂલ્યું હતું કે તે કોઈપણ લાયસન્સ વગર, માત્ર અનુભવ અને અનુમાનના આધારે દરરોજ આશરે 10 થી 12 દર્દીઓની તપાસ કરી એલોપેથીક દવાઓ અને ઇન્જેક્શન આપતો હતો. પોલીસે ઘટનાસ્થળેથી સ્ટેથોસ્કોપ, બીપી મશીન, આઈ.વી. સેટ, યુરિન બેગ, પેરાસીટામોલ ટેબ્લેટ અને વિવિધ ક્રીમ સહિત કુલ રૂ. 4094.02નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે આરોપી કાંતિભાઈ રાવળ વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 319(2) અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963ની કલમ 30 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસની વધુ તપાસ આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મથુરભાઈ ધારસીભાઈને સોંપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 2:45 pm

ઘી-કાંટા વિસ્તારમાં મકાન ધરાશાયી, બેથી ત્રણ લોકો દટાયા:ફાયર વિભાગની ત્રણ જેટલી ટીમ ઘટનાસ્થળે પહોંચી, રેસ્ક્યૂ શરૂ

અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં મોટી હમામની પોળ પાસે આવેલા નવતાડની પોળમાં મકાન ધરાશાયી થવાની ઘટના બની છે. મકાન પડતા બેથી ત્રણ લોકો દટાયા છે. ફાયર વિભગની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ હાલ ઘટનાસ્થળ ઉપર પહોંચી રહી છે. ફાયરની બે ટીમને સ્થળે રવાના કરવામાં આવી છે. ફાયર બ્રિગેડ દ્વારા હાલ મકાનના કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ કામગીરી કરી રહી છે. બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ પણ હાલ ઘટનાસ્થળે પહોંચી રહી છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ....

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 2:43 pm

'150-200 વર્ષે કચ્છમાં ફરી 2001 જેવો ભૂંકપ આવવાની શક્યતા':દેશ-વિદેશના 135 વૈજ્ઞાનિકોએ કરેલા રિસર્ચમાં ખુલાસો, નિષ્ણાંતે કહ્યું- હળવા આંચકા ફાયદાકારક

વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપને તાજેતરમાં જ 25 વર્ષ પૂર્ણ થયા છે. 26મી જાન્યુઆરી 2001ના ભૂકંપની યાદને કચ્છીઓ અને ગુજરાતીઓ ક્યારે ભૂલી શકે તેમ નથી. કચ્છનો વિસ્તાર ઝોન-5માં આવતો હોય નિયમિત પણે આ વિસ્તારમાં ભૂકંપીય પ્રવૃતિ જોવા મળતી હોય છે. તાજેતરમાં જ 23 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી ગાંધીનગરના ઈન્સ્ટીટયુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) ખાતે ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદ 'ઇન્ટ્રાપ્લેટ અને હિમાલયન સિસ્મોલોજી'યોજાઈ હતી. છેલ્લા 25 વર્ષ દરમિયાન ઈન્ટ્રાપ્લેટ અને હિમાલય રિજન અંગે નોંધપાત્ર સંશોધન થયું છે. આ ઉપરાંત વિશ્વકક્ષાએ સંશોધન ચાલી રહ્યા છે. જેમાં 110 ભારતીય અને 25 વૈજ્ઞાનિકો જોડાયેલા છે. તેઓ દ્વારા રજૂ કરાયેલા રિસર્ચ પેપરમાં વિવિધ તારણો રજૂ કરવામાં આવ્યા છે. સોલિડ અર્થ જીઓફિઝિક્સ અને અર્થક્વેક પ્રિકસર્સ (SEAP)ના ગ્રુપ હેડ. ડો. કે. મધુસુદન રાવે સંશોધનને લઈ ભાસ્કર સાથે વાતચીત કરી હતી. ગાંધીનગરમાં યોજાયેલી ત્રણ દિવસની પરિષદમાં નિષ્ણાંતોએ રિસર્ચ પેપર રજૂ કર્યા23 થી 25 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરમાં ISR અને ઇન્ડિયન સોસાયટી ઑફ અર્થક્વેક સાયન્સિસ (ISES) દ્વારા છેલ્લા 25 વર્ષોમાં થયેલા વિકાસ” તેમજ “એડવાન્સિસ ઇન અર્થક્વેક સાયન્સ”ની 9મી વાર્ષિક પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશ વિદેશના વૈજ્ઞાનિકો દ્વારા ઈન્ટ્રાપ્લેટ અને હિમાલયન સિસ્મોલોજી અંગે રિસર્ચ પેપર રજૂ કર્યા હતા. અન્ય દેશો સાથે કચ્છ વિસ્તારની શું સમાનતા?સોલિડ અર્થ જીઓફિઝિક્સ અને અર્થક્વેક પ્રિકર્સર્સ (SEAP) ગ્રુપ હેડ ડૉ. કે. મધુસુધન રાવએ મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું કે, ઇન્ટ્રાપ્લેટ અને હિમાલયન રિજન અંગે છેલ્લા 25 વર્ષમાં નોંધપાત્ર સંશોધન થયું છે. વિશ્વ કક્ષાએ ચાલતા આ સંશોધનમાં 110 ભારતીય અને 25 વિદેશી વૈજ્ઞાનિકોએ ભાગ લઈને પોતાના રિસર્ચ પેપર પ્રેઝન્ટ કર્યા હતા. અભ્યાસમાં મુખ્યત્વે એ વાત સામે આવી કે, ઇન્ટ્રાપ્લેટ રિજનમાં મોટા ભૂકંપ માઈક્રોપ્લેટની ગતિના કારણે થઈ શકે છે, જેમ કે 2001માં ભુજમાં આવ્યો હતો. યુએસએ સહિત અન્ય દેશોના ઇન્ટ્રાપ્લેટ રિજન સાથે ગુજરાતના કચ્છ વિસ્તારમાં શું સમાનતા છે તે અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી. આફટરશોક લાંબાો સમય ચાલુ રહેવાની શક્યતા- ડો. રાવડૉ. રાવે જણાવ્યું કે, કચ્છ વિસ્તાર ઝોન-5માં આવેલો હોવાથી અહીં નિયમિત રીતે ભૂકંપીય પ્રવૃત્તિ જોવા મળે છે. ભૂતકાળમાં અહીં મોટા ભૂકંપ આવ્યા છે અને ભવિષ્યમાં પણ આવવાની સંભાવના નકારી શકાય નહીં. હાલમાં જોવા મળતા આફ્ટરશોક્સ હજુ લાંબા સમય સુધી ચાલુ રહેવાની શક્યતા છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે, સૌરાષ્ટ્રના લાલપુર, જુનાગઢ અને ભાવનગર વિસ્તારોમાં હળવા ભૂકંપીય આંચકા વધારે અનુભવાય છે. આ ભૂકંપો સામાન્ય રીતે ઓછી ડેપ્થ (4થી 5 કિલોમીટર) પર થતાં હોવાથી નુકસાન ઓછું થાય છે. વરસાદી ઋતુ પછી આવી ઘટનાઓ વધારે જોવા મળે છે. સરફેસ સુધી એનર્જી પહોંચતાં અવાજ સાથે આંચકો અનુભવાય છે, જે મોટો ભૂકંપ હોવાનો ભ્રમ ઊભો કરે છે, પરંતુ હકીકતમાં તે નાનો ભૂકંપ હોય છે.મહત્વપૂર્ણ વાત એ છે કે, આવા હળવા આંચકા સારા માનવામાં આવે છે, કારણ કે તે ભૂગર્ભીય એનર્જી ધીમે ધીમે રિલીઝ કરી દે છે, જેથી મોટા ભૂકંપની શક્યતા ઘટે છે. 150થી 200 વર્ષમાં કચ્છમાં ફરી વિનાશક ભૂકંપ આવવાની શક્યતાપરિષદમાં રજૂ થયેલા અભ્યાસ મુજબ, કચ્છ વિસ્તારમાં મોટા ફોલ્ટ લાઈન્સ હોવાને કારણે 1890 અને 2001માં 7.5થી વધુ મેગ્નિટ્યુડના ભૂકંપ આવ્યા હતા. આવા મોટા ભૂકંપ સામાન્ય રીતે 150થી 200 વર્ષના અંતરે આવે છે. વચ્ચેના સમયમાં નાના ભૂકંપો અને આફ્ટરશોક્સ ચાલુ રહે છે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આટલી તીવ્રતા ધરાવતા ભૂકંપની શક્યતા ઓછી હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું. પરિષદમાં કઈ કઈ બાબતોને લઈ ચર્ચા?આ પરિષદમાં ભૂકંપ પૂર્વ સૂચના પ્રણાલી (Earthquake Early Warning), હિમાલયન ભૂકંપીય પ્રવૃત્તિ, સક્રિય ભૂસ્તર રેખાઓ, પૃથ્વીની આંતરિક રચના અને ભૂકંપ જોખમ માઇક્રોઝોનેશન જેવા વિષયો પર તાજા વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી. ભારત અને વિદેશના મળીને 150થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લઈ ભૂકંપ વિજ્ઞાન અને આપત્તિ તૈયારી અંગે પોતાના અનુભવ શેર કર્યા, જેનાથી ભવિષ્યમાં રાહત અને બચાવ કામગીરી વધુ અસરકારક બનવાની આશા વ્યક્ત કરવામાં આવી.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 2:42 pm

બી.કે. જયંતી દીદીજી મોરબીમાં પ્રથમવાર પધારશે:'સુખ જીવનનો સાર' વિષય પર મુખ્ય પ્રવચન આપશે

મોરબીમાં 4 ફેબ્રુઆરી, 2026 ના રોજ એક આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારીઝ સંસ્થાના સહ-પ્રશાસિકા બી.કે. જયંતી દીદીજી (લંડન) પ્રથમવાર મોરબી પધારશે અને મુખ્ય પ્રવચન આપશે. આ કાર્યક્રમ 4 ફેબ્રુઆરી, બુધવારે સાંજે 4 થી 7:30 વાગ્યા સુધી ક્લાસિક પાર્ટી પ્લોટ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે યોજાશે. કાર્યક્રમનો પ્રારંભ સાંજે 4 કલાકે Gate Way to Heaven (સ્વર્ગનું દ્વાર) મેગા લાઇટ એન્ડ સાઉન્ડ શો દ્વારા થશે, જે ટેકનોલોજીના માધ્યમથી આધ્યાત્મિક રહસ્યોની ઝાંખી કરાવશે. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બી.કે. જયંતી દીદીજીનું પ્રવચન રહેશે. તેઓ સુખ જીવનનો સાર: સકારાત્મકતા વિષય પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપશે. આ પ્રવચનમાં તણાવમુક્ત અને સુખી જીવન જીવવાની ચાવીઓ સમજાવવામાં આવશે. સાંજે 5 થી 6 વાગ્યા દરમિયાન સૂર ઝંકાર – મધુર સંગીત સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા મોરબીના દરેક નાગરિકને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 2:38 pm

ગોધરામાં ઓલ ગુજરાત મુસ્લિમ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ:'યાદગાર 11' ચેમ્પિયન, ફાઇનલમાં 'માસૂમ 11' ને હરાવી

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે 'ઓલ ગુજરાત મુસ્લિમ સમાજ ઓક્શન ક્રિકેટ ટુર્નામેન્ટ'નું આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમત પ્રત્યે ઉત્સાહ અને ભાઈચારાનો સંદેશ આપવાના હેતુથી આ ટુર્નામેન્ટ યોજાઈ હતી. ગોધરાના ટીવી સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે રમાયેલી આ ટુર્નામેન્ટમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો. લીગ અને સેમી-ફાઇનલના સ્પર્ધાત્મક મુકાબલાઓ બાદ, 'યાદગાર 11' અને 'માસૂમ 11' વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. ફાઇનલ મેચમાં બંને ટીમો વચ્ચે રોમાંચક ટક્કર જોવા મળી હતી. 'યાદગાર 11' એ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા શિસ્તબદ્ધ બેટિંગ અને મજબૂત બોલિંગના જોરે મેચ પર પકડ જમાવી હતી. અંતે, 'યાદગાર 11' એ 'માસૂમ 11' ને 25 રને હરાવી ટુર્નામેન્ટનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. વિજેતા ટીમને ટ્રોફી અને ઇનામ એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ આયોજન દ્વારા યુવાનોમાં રમતગમતની ભાવના કેળવાય અને વિવિધ જિલ્લાના ખેલાડીઓ એક મંચ પર આવે તેવો સરાહનીય પ્રયાસ આયોજકો દ્વારા કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 2:37 pm

કોડીનારના ઘાટવડમાં 1300 મતદારોને નોટિસ:SIR પ્રક્રિયામાં એક દિવસની સુનાવણીથી લોકશાહી અધિકાર પર સંકટ

કોડીનાર તાલુકાના ઘાટવડ ગામમાં ચાલી રહેલી SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયાને કારણે ગ્રામજનોમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે. મતદાર યાદીમાં નામ સંબંધી વિસંગતતાના આધારે અંદાજે 1300 જેટલા મતદારોને નોટિસો આપવામાં આવી છે, પરંતુ સુનાવણી માટે માત્ર એક જ દિવસ ફાળવવામાં આવતા ગ્રામજનોમાં અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે. ઘાટવડ ગ્રામ પંચાયતના સદસ્ય અલ્તાફ ટાઈલી અને અગ્રણી મહાવીરસિંહ ઝાલા સહિત સ્થાનિક મતદારોએ જણાવ્યું કે હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. ઘણા લોકો ખેતમજૂરી, ખેતી અને દૈનિક રોજગારમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં એક જ દિવસમાં તમામ જરૂરી દસ્તાવેજો એકત્ર કરીને રજૂ કરવા વ્યવહારુ નથી. ગ્રામજનો સ્પષ્ટપણે કહી રહ્યા છે કે, દસ્તાવેજો રજૂ કરવામાં અમને વાંધો નથી, પરંતુ સમય જ નથી આપતા. સમયના અભાવને કારણે જો કોઈ મતદાર જરૂરી દસ્તાવેજી પુરાવા રજૂ ન કરી શકે તો તેનું નામ મતદાર યાદીમાંથી કપાઈ જવાની ભીતિ છે. આનાથી અનેક નાગરિકો તેમના મૂળભૂત લોકશાહી અધિકાર, એટલે કે મતાધિકારથી વંચિત થવાની આશંકા અનુભવી રહ્યા છે. ગામમાં દસ્તાવેજો છે, ઈરાદો પણ છે, પણ સમય નથી તેવો રોષભર્યો સૂર સંભળાઈ રહ્યો છે. આ સમગ્ર પ્રક્રિયાનો ભાર માત્ર નાગરિકો પર જ નહીં, પરંતુ BLO (બૂથ લેવલ ઓફિસર) પર પણ વધી રહ્યો છે. ઓછા સમયમાં મોટી સંખ્યામાં કેસોનો નિકાલ કરવાની જવાબદારીને કારણે BLOs પર ભારે દબાણ સર્જાયું છે. આ ઉપરાંત, વારંવારની SIR અને સપ્લીમેન્ટરી કામગીરીને કારણે શાળાઓમાં અભ્યાસ સમય પણ ઘટી રહ્યો છે. કેટલાક સ્થળોએ વિદ્યાર્થીઓને પણ આ કામગીરીમાં જોડવામાં આવતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે, જેના કારણે વાલીઓ અને શિક્ષકોમાં રોષ છે. ઘાટવડ ગ્રામ પંચાયતના સદસ્ય અલ્તાફ ટાઈલી અને અગ્રણી મહાવીરસિંહ ઝાલા સહિત ગામના મતદારો અને સ્થાનિક આગેવાનોની એકસૂર માંગ છે કે સુનાવણી માટે વધુ દિવસો ફાળવવામાં આવે. નોટિસ પ્રાપ્ત તમામ નાગરિકોને પૂરતો સમય અને તક આપવામાં આવે જેથી કોઈ પણ નાગરિક માત્ર પ્રક્રિયાની તાકીદને કારણે પોતાના મતાધિકારથી વંચિત ન રહે. ઘાટવડ ગામની પરિસ્થિતિ માત્ર એક ગામ પૂરતી સીમિત નથી, પરંતુ તે લોકશાહી પ્રક્રિયામાં માનવ સંવેદના, સમય વ્યવસ્થા અને ન્યાયસંગત અભિગમની આવશ્યકતાનું જીવંત ઉદાહરણ બની છે. હવે જોવાનું રહ્યું કે સરકાર અને સંબંધિત વિભાગો આ વધતા જનઆક્રોશને કેટલી ગંભીરતાથી લે છે અને લોકોનો લોકવિશ્વાસ જાળવી શકે છે કે નહીં.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 2:36 pm

વેરાવળમાં કોંગ્રેસનો નગરપાલિકા સામે ઉગ્ર હલ્લાબોલ:ધારાસભ્ય ચુડાસમાની આગેવાનીમાં 600થી વધુ ફરિયાદો સુપ્રત

વેરાવળ શહેરમાં લાંબા સમયથી ચાલી રહેલી નાગરિક સમસ્યાઓ સામે આજે અસંતોષ જોવા મળ્યો હતો. વેરાવળ નગરપાલિકા ખાતે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. શહેરના બિસ્માર રોડ-રસ્તા, ગંદકી, ડ્રેનેજ, પીવાના પાણી અને અન્ય પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને કોંગ્રેસના કાર્યકરો સાથે મોટી સંખ્યામાં નાગરિકોએ વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કર્યું હતું. તેમની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો અને નાગરિકોએ રેલી કાઢી નગરપાલિકા કચેરી સુધી પહોંચી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. નગરપાલિકા કચેરી આસપાસ થોડા સમય માટે ભારે ગહમાગહમીનો માહોલ સર્જાયો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ દ્વારા 600થી વધુ નાગરિક ફરિયાદોના પોટલાં નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને સુપ્રત કરવામાં આવ્યા. આ ફરિયાદોમાં મુખ્યત્વે શહેરના વિવિધ વિસ્તારોમાં ખાડાવાળા રોડ, નિયમિત સફાઈનો અભાવ, કચરાના ઢગલા, ઉભરાતી ગટરો, પીવાના પાણીની અનિયમિતતા અને સ્ટ્રીટલાઈટ જેવી સુવિધાઓના અભાવનો ઉલ્લેખ હતો. કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જણાવ્યું કે, વેરાવળના નાગરિકો નિયમિત રીતે ટેક્સ ભરે છે, છતાં તેમને મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. વારંવાર રજૂઆત છતાં કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. નગરપાલિકા તંત્રની બેદરકારી હવે સહનશક્તિ બહાર છે. તેમણે સ્પષ્ટ ચીમકી આપી હતી કે જો નગરપાલિકા દ્વારા વહેલી તકે તમામ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં લાવવામાં આવે, તો આ મુદ્દો આગામી સમયમાં વિધાનસભાના ગૃહમાં ઉઠાવવામાં આવશે અને સરકારનું ધ્યાન દોરવામાં આવશે. વિરોધ પ્રદર્શન દરમિયાન નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાનીએ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્ર સ્વીકાર્યું હતું. તેમણે જણાવ્યું કે, નગરપાલિકાને મળેલી તમામ રજૂઆતો પર ગંભીરતાથી વિચારણા કરવામાં આવશે અને શક્ય તેટલી વહેલી તકે સમસ્યાઓના નિરાકરણ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વેરાવળ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નાગરિક સુવિધાઓને લઈને અસંતોષનો માહોલ છે. આજે થયેલ કોંગ્રેસનું આ વિરોધ પ્રદર્શન એ સ્પષ્ટ સંકેત આપે છે કે જો તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બની શકે છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 2:35 pm

ભગવંત માન બે દિવસ ગુજરાતના પ્રવાસે:30 વર્ષથી ભાજપ-કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડતું હોવાનો આક્ષેપ, કહ્યું-'ગુજરાતમાં પણ પરિવાર દીઠ 10 લાખ આધારકાર્ડથી સહાય યોજના લાગુ કરવી જોઈએ'

પંજાબના આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ભગવંત માન બે દિવસ અમદાવાદના પ્રવાસે આવ્યા હતા. તેઓએ સવારે અમદાવાદમાં ગુરુદ્વારામાં દર્શન કર્યા હતા. તેમણે SIRની કામગીરીને લઈને સવાલ ઊભા કર્યા હતા. UGCના નવા નિયમ પર જે વિવાદ ઊભો તેમાં ફરી વિચારણા કરીને કોઈપણ વર્ગના લોકો સાથે અન્યાય ન થાય તે પ્રમાણે સુધારો કરવા માટે પણ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને માગ કરી છે. ભગવંત માને કહ્યું હતું કે, પંજાબનું શિક્ષા અને સ્વાસ્થ્ય મોડલ ગુજરાતમાં પણ લાગુ કરવું જોઈએ. 30 વર્ષથી ભાજપ અને કોંગ્રેસ સાથે મળીને કામ કરતું હોવાનો પણ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આક્ષેપ કર્યો છે. તેમજ કોંગ્રેસના નેતાઓ પોતાના ધંધા ચલાવવા માટે ભાજપ સાથે હોવાનો પણ દાવો કર્યો છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોને આકર્ષવા માટે આમ આદમી પાર્ટી મેદાને આવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત પહેલા સ્વાસ્થ્ય અને શિક્ષા માટેની યોજનાઓ સરકાર બન્યા બાદ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. પંજાબમાં ભગવંત માનની સરકારે પરિવાર દીઠ આધારકાર્ડના આધારે સ્વાસ્થ્ય સહાય આપવાની યોજના લાગુ કરી છે. જે યોજના ગુજરાતમાં પણ લાગુ કરવામાં આવે તેવી આદમી પાર્ટીએ માંગ કરી છે. બીજી સ્વાસ્થ્ય યોજના નાગરિકોની આવક જોઈને અપાતી હોવાનો ભગવંત માને આક્ષેપ કર્યો છે. પંજાબમાં પરિવાર દીઠ 10 લાખ સહાય યોજના શરૂ કરવામાં આવીપંજાબના લોકો માટે સ્વાસ્થ્યને લઈને આમ આદમી પાર્ટીની સરકારે લાગુ કરેલી નવી યોજનાને લઈને ભગવંત માને જણાવ્યું હતું કે, ભારતમાં પહેલી વખત મુખ્યમંત્રી સહાય યોજના અંતર્ગત 10 લાખ સુધીની સારવાર કોઈપણ કાર્ડ વગર માત્ર આધારકાર્ડથી સારવાર લઈ શકાય તેવી યોજના શરૂ કરવામાં આવી છે. પંજાબમાં પરિવાર દીઠ 10 લાખ સહાય યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં દરેક પરિવારને સારવાર માટે 10 લાખ રૂપિયા આપવાની વ્યવસ્થા કરી છે. કોઈપણ કાર્ડ બતાવ્યા વગર જ માત્ર આધારકાર્ડથી જ સારવાર કરી દેવામાં આવે છે. કોઈપણ પરિવારની આવક કેટલી છે તે જોયા વગર જ સહાય આપવામાં આવશે. કોઈ બીમાર પડે તો તેની સારવાર માટે પરિવારને જમીન વેચવી પડે છે, કે પત્નીના ઘરેણા પણ વેચવા પડે છે. પરિવારમાં કોઈ બીમાર થાય તો તે વ્યક્તિ એવું કહે છે કે મારી સારવાર કરાવતા નહીં નહીંતર પૈસા વધુ વપરાઈ જશે. પંજાબમાં પૈસા ન હોવાથી કોઈપણ વ્યક્તિ સારવાર લીધા વગર વંચિત નહીં રહેવધુમાં જણાવ્યું હતું કે, આઝાદી પછી ઘણી સરકાર બની પરંતુ લોકોના સ્વાસ્થ્ય માટેની યોજના બનાવવા કોઈએ પણ વિચાર કર્યો નહીં. એક વર્ષમાં પરિવારમાંથી કોઈપણ બીમાર પડે તો 10 લાખ રૂપિયા સારવાર માટે સરકાર આપશે. ક્યાંય પણ આવી યોજના લાવવામાં આવી નથી, ક્યાંક યોજના છે પરંતુ તેમાં અમુક બીમારી માટેની જ સારવાર આપવામાં આવે છે. અમારા ત્યાં કોઈપણ બીમારી હશે તો માત્ર આધારકાર્ડના આધારે જ સારવાર આપવામાં આવશે. કોઈપણ હોસ્પિટલમાં જઈને પંજાબના નાગરિકો સારવાર લઈ શકશે. પંજાબમાં પૈસા ન હોવાથી કોઈપણ વ્યક્તિ સારવાર લીધા વગર રહી શકશે નહીં. કોઈપણ હોસ્પિટલ બિલ માટે મૂર્તદેહને રોકી નહીં શકે તેવી સૂચના પણ પરિપત્ર કરીને અપાઈ છે. જો કોઈ વ્યક્તિ સારવાર મેળવી લે તો તેનું બિલ બાકી હોય તો તેને પણ વધારે દિવસ નહીં રોકી શકે તેવી પણ સૂચના અપાઈ છે. '30 વર્ષથી કોંગ્રેસ અને ભાજપ સાથે મળીને કામ કરે છે'ભગવંત માને જણાવ્યું હતું કે, 90 ટકા ખેડૂતોને વીજળીનું બિલ આવતું નથી, 600 યુનિટ સુધી વીજળી મફત કરવામાં આવી છે. 30 વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકારે કંઈપણ કર્યું નથી, કોંગ્રેસ પણ કોઈની વાત સાંભળતી નથી. લોકોને આશા છે કે આમ આદમી પાર્ટી અમારો અવાજ સાંભળી રહી છે. કોંગ્રેસ તો ભાજપ સાથે જોડાઈને કામ કરે છે અને તેમના ધંધા પણ ભાજપ સાથે ચાલે છે. ભાજપની નિયત જ લોકોની સેવા કરવા માટેની નથી. જેથી નાગરિકોએ વિચારવું પડશે કે સરકાર કામ નથી તો જે કામ કરે તેવી સરકાર પસંદ કરવામાં આવે. આયુષ્માન યોજનામાં પણ અનેક શરતો લગાવી દેવામાં આવ્યા છે જેનાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. ગોપાલ ઇટાલીયાની ચૂંટણી વખતે પણ કોંગ્રેસે ભાજપને ફાયદો કરાવવા માટે પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો હતો. વિપક્ષ સરકાર સાથે ઉભા રહીને જ કામ કરે છે, અને ગેમ રમે છે. 30 વર્ષથી સરકાર છતાં કોંગ્રેસની બેઠક ઓછી થઈ રહી છે, લોકો કામ સમજી ગયા છે કે કોઈને પણ મત આપો જશે તો ભાજપમાં જ જશે. 17 જેટલા લોકો ભાજપમાં જતા રહ્યા છે. 'ગુજરાતમાં ખોટા બિલથી હોસ્પિટલો કરોડોનો ગોટાળો કરી રહી છે'વધુમાં ભગવંત માને જણાવ્યું કે, UGC નવા નિયમોમાં કોઈપણ વર્ગને દુવિધા છે તો તેમાં સુધારો થવો જોઈએ. ખોટા વોટ પણ ચૂંટણીમાં ઊભા કરવામાં આવી રહ્યા છે, જે હયાત નથી છતાં તેમના વોટ પડે છે. ગુજરાતમાં ખોટા બિલ બનાવીને હોસ્પિટલો કરોડો રૂપિયાનો ગોટાળો કરી રહી છે. પંજાબમાં તે રોકવા માટે અમે હેલ્થને AI આધારિત કરવામાં આવ્યું છે. ખોટા દર્દીને ઊભા કરીને કરોડો રૂપિયા ગોટાળો કરવાનું કામ અમારા ત્યાં નહીં થઇ શકે, તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. મોનિટરીંગ કરીને કામ કરીશું, જો કોઈ હોસ્પિટલની ફરિયાદ મળશે તો તેનું લાઇસન્સ રદ કરવામાં આવશે. ગુજરાતમાં બેરોકટોક નશાનો કરોડબાર ચાલતો હોવાના આક્ષેપપંજાબમાં નશાનો કરોડના રોકવામાં આવ્યો છે, કરોડોનું ડ્રગ્સ પકડીને આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે અને તેના ઘર અને પ્રોપર્ટી પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. અમારી પોલીસ પણ કરોડનું ડ્રગ્સ ગુજરાતમાં આવીને પકડી જાય છે. પાડોશી દેશમાંથી આવતા ડ્રોન રોકવા માટે પણ એન્ટિ ડ્રોન સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. પંજાબને દરેક ક્ષેત્રમાં આગળ લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ, પંજાબના મોટા ભાગના ખેલાડીઓ પંજાબથી આવી રહ્યા છે. રમત ગમત ક્ષેત્રે પણ પંજાબ ખૂબ આગળ વધી રહ્યું છે. ઇતિહાસમાં પહેલીવાર આટલી મોટી તબાહી પંજાબમાં આવી હતી છતાં પણ તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી હતી, અન્ય કોઈ રાજ્યમાં આવી તબાહી આવી હોત તો તે રાજ્ય ઊભું પણ ન થઈ શક્યું હોત.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 2:26 pm

બોટાદમાં ઘરફોડ ચોરી ડીટેક્ટ:LCB પોલીસે આરોપીને ઝડપી રૂ. 4.58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

બોટાદ LCB પોલીસે શહેરના ઢાંકણીયા રોડ સ્થિત મારૂતિનગર-૨ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા એક આરોપીની ધરપકડ કરી તેની પાસેથી રૂ. 4,58,200ના સોના-ચાંદીના દાગીના કબજે કર્યા છે. ઝડપાયેલા આરોપીનું નામ અર્જુનભાઈ ઉર્ફે કાળુ ઉર્ફે મુનો વિરમભાઈ ચીભડીયા છે. LCB ટીમે તેની ધરપકડ કરી તેના રહેણાંક સ્થળેથી ચોરીનો મુદ્દામાલ શોધી કાઢ્યો હતો. આ ઘરફોડ ચોરીની ઘટના ગત તારીખ 27 જાન્યુઆરી, 2026ના રોજ બની હતી. આરોપી દિવાલ કૂદીને ઘરમાં પ્રવેશ્યો હતો અને તિજોરી તોડીને દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ મામલે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં BNS 2023ની કલમ 305(એ) અને 331(3) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. LCB પોલીસે આ અનડિટેક્ટ ગુનાનો સફળતાપૂર્વક ઉકેલ લાવી આરોપીને કાયદાના સકંજામાં લીધો છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 2:18 pm

ગોધરામાં ઓરીના 10 કેસ મળ્યા:આરોગ્ય વિભાગ દ્વારા 10,000 બાળકોને બુસ્ટર ડોઝ અપાશે

પંચમહાલ જિલ્લામાં ઓરીના 10 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. ગોધરા શહેરમાં 9 માસથી 5 વર્ષ સુધીના 10,000થી વધુ બાળકોને આગામી ત્રણ દિવસમાં ઓરીનો બુસ્ટર ડોઝ આપવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ કેસો મળી આવ્યા બાદ, આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સ હાથ ધર્યું હતું. જેમાં 9 માસથી 5 વર્ષ સુધીના 6,000થી વધુ બાળકોનો સર્વે કરવામાં આવ્યો છે. આ રસીકરણ અભિયાનમાં આરોગ્ય વિભાગના 200થી વધુ કર્મચારીઓ જોડાયા છે. ગોધરા શહેરના ત્રણ મુખ્ય વિસ્તારો – ખાડી ફળિયા, પટેલવાડા અને સાત પુલ – માં મિઝલ્સ વેક્સિન મૂકાવવા માટેનું ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત, ગોધરા શહેરના મુખ્ય ત્રણ વિસ્તારોમાં 50થી વધુ રસીકરણ બૂથ તે વિસ્તારના આંગણવાડી કેન્દ્રો ખાતે શરૂ કરવામાં આવ્યા છે. 9 માસથી લઈને 5 વર્ષ સુધીની ઉંમરના બાળકોને, જો તેમણે અગાઉ બે ડોઝ લીધા હોય તો પણ, ત્રીજો બુસ્ટર ડોઝ આપવામાં આવશે. રસીકરણ કેમ્પ સવારે 9:00 થી સાંજના 05:00 વાગ્યા દરમિયાન કાર્યરત રહેશે. જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા આરોગ્ય વિભાગની ટીમો દ્વારા રસીકરણ કેન્દ્રોની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા આરોગ્ય વિભાગે ગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લાના નાગરિકોને 9 માસથી 5 વર્ષના બાળકોને ઓરીની રસીનો બુસ્ટર ડોઝ મુકાવવા ખાસ અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 2:17 pm

હિંમતનગરમાં રક્તદાન કેમ્પમાં 20થી વધુ બોટલ રક્ત એકત્ર:માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત પોલીસકર્મીઓએ રક્તદાન કર્યું

હિંમતનગરમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-2026 અંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો હતો. સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા જિલ્લા પોલીસ કચેરીના તાલીમ ભવન ખાતે આયોજિત આ કેમ્પમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલનો સહયોગ લેવાયો હતો. આ કેમ્પમાં 20થી વધુ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પ ગુરુવારે યોજાયો હતો. શિક્ષા સે સુરક્ષા, ટેક્નોલોજી સે પરિવર્તનના સૂત્ર સાથે એક માસ દરમિયાન વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો આ કેમ્પ એક ભાગ હતો. આ કેમ્પમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું. માનવસેવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમને પોલીસ વિભાગ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. આ પ્રસંગે ડીવાયએસપી કુલદીપ નાયી, જિલ્લા ટ્રાફિક PI બી.ડી. રાઠોડ, PSI એ.વી. જોશી, ડી.એસ.રાઓલ તેમજ સાબર ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ગોપાલસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાનની સમગ્ર કામગીરી સિવિલ હોસ્પિટલની તબીબી ટીમ દ્વારા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 2:14 pm

કાંકણપુરમાં આરોગ્ય મેળો સંપન્ન:ગોધરા સિવિલના નિષ્ણાત ડોક્ટરોએ આપી સેવાઓ; ગ્રામજનોને મળ્યો લાભ

પંચમહાલ જિલ્લાના કાંકણપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગુરુવારે એક આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં કાંકણપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના મોટી સંખ્યામાં ગ્રામજનોએ નિષ્ણાત તબીબોની સેવાઓનો લાભ લીધો હતો. આયુષ્માન ભારત યોજના અંતર્ગત જનસમુદાયને ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓ પૂરી પાડવાના હેતુથી આ મેળાનું આયોજન કરાયું હતું. સામુહિક આરોગ્ય કેન્દ્ર, કાંકણપુર અને તાલુકા આરોગ્ય ઓફિસ, ગોધરાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો. ગોધરા સિવિલ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોએ સવારે 10:૦૦ થી બપોરે 12:30 કલાક દરમિયાન દર્દીઓની તપાસ કરી તાત્કાલિક સારવાર પૂરી પાડી હતી. ફિઝિશિયને તાવ, શરદી, ડાયાબિટીસ અને હૃદયરોગના દર્દીઓની તપાસ કરી હતી. આ ઉપરાંત, ગાયનેકોલોજિસ્ટે સ્ત્રી રોગો, જનરલ સર્જને વિવિધ પ્રકારની ગાંઠો, આંખના સર્જને આંખના રોગો, મનોચિકિત્સકે માનસિક રોગો, સ્કીન સ્પેશિયાલિસ્ટે ચામડીના રોગો, દાંતના સર્જને દાંતના રોગો, બાળરોગ નિષ્ણાતે બાળકોના રોગો અને કાન-નાક-ગળાના નિષ્ણાત તબીબોએ સંબંધિત રોગોનું નિદાન અને સારવાર કરી હતી. ગંભીર રોગોનું વહેલું નિદાન થાય તેવા લક્ષ્ય સાથે આયોજિત આ કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. એન.એમ. ડામોર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વી.બી. ગમીતના માર્ગદર્શન હેઠળ આરોગ્ય ટીમે સક્રિય કામગીરી કરી હતી. સ્થાનિક ગ્રામજનોએ ઘરઆંગણે મળેલી આ નિષ્ણાત તબીબી સારવાર બદલ આરોગ્ય વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 2:08 pm

કરોડોના દારૂ પર બુલડોઝર ફર્યું:ગ્રામ્ય પોલીસના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા 2.22 કરોડના દારૂનો નાશ કરાયો, સૌથી વધુ 1.30 કરોડનો અસલાલીમાંથી દારૂ ઝડપાયો

અમદાવાદ ગ્રામ્ય પોલીસની હદના અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલા પ્રોહીબિશનના ગુનામાં કબ્જે કરવામાં આવેલા 2.22 કરોડ રૂપિયાના દારૂનો નાશ કરવામાં આવ્યો છે. છેલ્લા 6થી 8 મહિનાના સમયમાં ઝડપાયેલા દારૂ પર પોલીસ દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. 50 હજાર કરતા વધુ દારૂની બોટલો પર બુલડોઝર ફરી વળ્યુંગ્રામ્ય પોલીસની હદના અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા ઘણા સમયમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં અલગ અલગ જગ્યાએ વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો હતો. પોલીસે 2.22 કરોડની 50 હજાર કરતા વધુ દારૂની બોટલો પર બુલડોઝર ચલાવ્યું હતું. ક્યાં પોલીસ સ્ટેશનનો કેટલો દારૂનો જથ્થો હતો?

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 2:01 pm

AMTS ચલાવવા 600 કરોડની લોન લેશે:વર્ષ 2030 સુધીમાં લોકો એસી અને ઇલેક્ટ્રિક બસોમાં મુસાફરી કરશે, 4 જગ્યાએ મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ બનશે

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)નું વર્ષ 2026-27નું રૂ. 991 કરોડનું ડ્રાફ્ટ બજેટ ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. બજેટમાં વર્ષ 2030 સુધીમાં અમદાવાદમાં તમામ AMTS બસોને એસી અને ઈલેક્ટ્રીક દોડાવવામાં આવશે. શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને લઈને લોકોને એક જ સ્થળેથી તમામ ટ્રાન્સપોર્ટ મળી રહે તેના માટે ચાલુ વર્ષે બજેટમાં અલગ અલગ 4 મલ્ટીમોડેલ હબ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રીંગરોડની બહારની સાઈડ અને શહેરની ચારે તરફ આ હબ બનાવવામાં આવશે જેથી લોકોને શહેરમાં અવરજવરમાં સરળતા રહેશે. ચાલુ વર્ષે 347 કરોડનું બજેટ રજૂટ્રાન્સપોર્ટ મેનેજર અમૃતેશ ઔરંગાબાદકરે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે 347 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે જે ગત વર્ષ કરતા 309 કરોડ વધુનું રજૂ કરાયું છે. રોજના 5.5 લાખ જેટલા મુસાફરો મુસાફરી કરે છે. દિન-પ્રતિદિન મુસાફરોની સંખ્યા વધી રહી છે. જેને ધ્યાનમાં રાખી બસોની સંખ્યા આગામી વર્ષમાં વધારવામાં આવશે. ચાલુ વર્ષે 358 કરોડની આવકમાં વધારો થઈ શકે છે. પગાર, પેન્શન અને અન્ય એસ્ટાલીસ્ટમેન્ટ ખર્ચમાં એક કરોડનો ઘટાડો થયો છે. હેરિટેઝ-ટુરીઝમ સ્થળોએ સ્પે.બસ સેવા શરૂ કરાશેગુજરાતનું સૌથી પહેલું મલ્ટીલેવલ બસ ડેપો બનાવવાનું આયોજન છે. પ્રવાસીઓને રૂટ પર બસની પ્રતિક્ષા માટે ગ્રીન બસ શેલ્ટર તૈયાર કરાશે. વર્ષ દરમિયાન હેરિટેઝ તથા ટુરીઝમ સ્થળોએ સ્પે. બસ સેવા શરૂ કરાશે. મહત્તમ શ્રમિક પાસ આપવાનું આયોજનસાબરમતી રિવરફ્રન્ટની બંને તરફ ઇલેક્ટ્રીક બસો પણ દોડાવાશે. રાજય સરકારની યોજના મુજબ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં રજીસ્ટર્ડ હોય તેવા શ્રમિકોને વિના મુલ્યે કોઈપણ, રૂટમાં કોઈપણ સ્થળે, કોઈપણ બસમાં મુસાફરીની સવલત મળી રહે તે માટે મહત્તમ શ્રમિક પાસ આપવાનું આયોજન છે. સંસ્થામાં સંચાલિત સીએનજી તથા ઈલેક્ટ્રીક બસોનું થર્ડ પાર્ટી સેફટી ઓડિટ કરાવવામાં આવશે. વાર્ષિક રૂ.1.5 કરોડ આવક થવાનો અંદાજમુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા (Chief Minister Urban Bus Service-CMUBS) અન્વયે, રાજય સરકાર દ્વારા પ્રતિ કિલોમીટર ઘટના 60 ટકાની ગણતરી મુજબ સીએનજી બસ માટે મહત્તમ પ્રતિ કિ.મી. રૂ.18 તથા ઈવી બસ માટે પ્રતિ. કી.મી. રૂ.30 મુજબ અંદાજીત કુલ રૂ.220 કરોડની ગ્રાન્ટ મળવાની શક્યતા છે. 300 મીની ડેકોરીટીવ શેલ્ટર એમ.પી., એમ.એલ.એ. અને મ્યુ.કાઉન્સીલરની ગ્રાન્ટમાંથી બનાવવાનું આયોજન છે. જેનાથી વાર્ષિક રૂ.1.5 કરોડ આવક થવાનો અંદાજ છે. જેનો વર્કઓર્ડર આપેલો છે. AMTS બસોને ચલાવવા કોર્પોરેશન પાસેથી 600 કરોડની લોન લેવાશેAMTS બસોને ચલાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી રૂ. 600 કરોડની લોન લેવામાં આવશે, ગત વર્ષે 437 કરોડની લોન લેવામાં આવી હતી. બજેટ વર્ષ 2026-27નું આયોજન - વર્ષ દરમિયાન AMTSમાં સંચાલિત બસોની સંખ્યા 1600 જેટલી થશે. જે ધ્યાને લઇ બસોની ફ્રીકવન્સી વધારવા સાથે રુટોનુ વિસ્તરણ તેમજ નવા રુટો શરુ કરી અમદાવાદની આસપાસના ગામો અને જી.આઈ.ડી.સી. માં બસોની ફીકવન્સી વધારવા તેમજ નવા રૂટો સર્વે કરી શરૂ કરવામાં આવશે. - બજેટ વર્ષ દરમિયાન 1571 બસોના ફલીટ સામે સામાન્ય દિવસોમાં જાહેર રજાઓ સિવાય 1492 બસો રોડ પર સંચાલનમાં મુકવાનું આયોજન છે. જે હાલમાં સંચાલિત સંખ્યાથી લગભગ બમણી થાય છે. - વર્ષ 2030 સુધી AMTSની તમામ એ.સી. બસો સંચાલનમાં મુકવાનું આયોજન છે. તમામ બસોના ઈલેકટ્રીફીકેશન કરવાના ભાગરૂપે AMTSની બસ ફલીટમાં 225 સીએનજી બસોનો (9 મીટર)નો કોન્ટ્રાકટ પૂર્ણ થવાથી 225 ઈલેકટ્રીક બસો (9 મીટર) જીસીસી મોડેલ ઉપર લેવા માટે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. જે પૈકી 25 બસ આવી છે. - તમામ રૂટોનું વિગતવાર એનાલીસીસ કરી જરુરિયાત અનુસાર બસોની ફ્રીકવન્સી વધારવાનું આયોજન છે. - અમદાવાદમાં સરખેજ ચોકડી, એ.એમ.સી. સિવીક સેન્ટર પાસે આવેલા એ.એમ.ટી.એસ.ના પ્લોટમાં તેમજ જરૂરીયાત મુજબ ડીપો ટર્મિનસો ડેવલોપ કરવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંર્તગત નવા પાર્કિંગ ડેપો બનાવવાનું આયોજન છે. - AMTSની ઈલેક્ટ્રીક બસો માટે જમાલપુર, વાસણા, વાડજ, મેમનગર ડેપોમાં 15માં નાણાં પંચની ગ્રાન્ટ મેળવી સોલાર પેનલ સાથે ચાર્જીંગ સ્ટેશન બનાવવાનું આયોજન છે. - AMTS/BRTS/GSRTCના ઈલેકટ્રીક વાહનો માટે કોમન ચાર્જીંગ પોલિસી તેમજ ફંકશનલ ઈન્ટીગ્રેશન માટેનો રોડમેપ તૈયાર કરવાનું આયોજન છે. - AMTS/BRTSનું ઓપરેશન તેમજ ઈન્ફ્રાસ્ટ્રકચર માટેનો રોડમેપ તૈયાર કરવાનું આયોજન છે. - આઉટર સાઈડ રીંગ રોડ પર AMTS/BRTS/મેટ્રો, GSRTC તથા અન્ય વાહનો સાથે મલ્ટી મોડેલ ઈન્ટીગ્રેશન કરી બસ પોર્ટ બનાવવામાં આવશે. - વર્ષ દરમિયાન સી.ઈ.એસ.એલ. દ્વારા પીએમ(ઈ) ડ્રાઇવ યોજના અંતર્ગત જીસીસી મોડલથી બસો મેળવી સંચાલનમાં મુકવાનું આયોજન છે. - AMTSના આઈટીએમએસ પ્રોજેકટનું અમલીકરણ કરવામાં આવશે. - AMTSના ડ્રાયવર-કંડકટરો માટે તાલીમ કેન્દ્ર બનાવવાનું આયોજન છે. - પીપીપી મોડલ પર બે મોબાઈલ તાલીમ વાહનો સંચાલીત કરવાનું આયોજન છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 2:00 pm

સોન તલાવડી ઝૂંપડપટ્ટીમાંથી 8 જુગારી ઝડપાયા:ભરૂચ એ ડિવિઝન પોલીસે દરોડા પાડી ₹32 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

ભરૂચ શહેરના સોન તલાવડી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસે જુગાર રમતા આઠ ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે દરોડા સ્થળેથી રોકડા રૂપિયા 11,000 અને ચાર મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 32,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા તમામ આરોપીઓ ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે જુગાર રમી કાયદાનો ભંગ કરી રહ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં મારવાડી ટેકરા વિસ્તારના વિજય નિરંજન મારવાડી, બપ્પી અર્જુન મિશ્રા, જીજ્ઞેશ મનુ દેવીપૂજક, અમિત વસાવા, અજય વસાવા, ભરતકુમાર સુનિલકુમાર ચોપડા, સોયેબ મુનાફ સૈયદ અને નસરુદ્દીન મુનાફ સૈયદનો સમાવેશ થાય છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર પ્રતિબંધક અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 1:56 pm

અમરેલીમાં 13,500 દર્દીઓને આયુષ્માન કાર્ડથી નિઃશુલ્ક સારવાર:રૂ. 16.99 કરોડના ખર્ચે મોંઘી સારવારથી મળી મુક્તિ

અમરેલી જિલ્લામાં 'પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' (PM-JAY) હેઠળ 13,500 દર્દીઓને રૂ. 16.99 કરોડના ખર્ચે નિ:શુલ્ક આરોગ્ય સારવાર મળી છે. આયુષ્માન કાર્ડ સામાન્ય નાગરિકો માટે મોંઘીદાટ સારવારથી મુક્તિ અપાવવામાં સંજીવની સમાન સાબિત થયું છે. 'આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' વિશ્વની સૌથી મોટી જાહેર આરોગ્ય યોજના છે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા નાગરિકોને રૂ. 10 લાખનું આરોગ્ય કવચ પૂરું પાડવામાં આવે છે. આયુષ્માન કાર્ડ થકી સામાન્ય નાગરિકો સરળતાથી અને વિના વિલંબ વિવિધ પ્રકારની આરોગ્ય સારવાર મેળવી શકે છે. જિલ્લા વહીવટી તંત્રના સઘન પ્રયાસોને પરિણામે ચાલુ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન અમરેલી જિલ્લામાં 13,500 દર્દીઓએ આ યોજનાનો લાભ લીધો છે. તેમને કુલ રૂ. 16.99 કરોડની નિ:શુલ્ક આરોગ્ય સારવાર પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત, ચાલુ વર્ષે જિલ્લામાં કુલ 53,702 નવા આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે, જેનાથી વંચિત અને ગરીબ પરિવારોને આરોગ્ય કવચ મળ્યું છે. મોંઘીદાટ આરોગ્ય સારવાર ઘણીવાર ગરીબ પરિવારો, વંચિતો અને સામાન્ય નાગરિકોની પહોંચની બહાર હોય છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, ભારત સરકાર દ્વારા વર્ષ 2018માં 'પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્યમાં સામાન્ય નાગરિકને સરળતાથી કેશલેસ સારવાર મળે અને સમગ્ર પરિવારને આરોગ્ય કવચનો લાભ મળે તે સુનિશ્ચિત કરવાનો છે. જે નાગરિકો પાસે હજુ આયુષ્માન કાર્ડ નથી, તેઓ નજીકની સરકારી હોસ્પિટલ અથવા કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઈ જરૂરી દસ્તાવેજો સાથે નોંધણી કરાવી શકે છે. યોજના અંતર્ગત આવતી હોસ્પિટલોની યાદી PMJAY ની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 1:45 pm

નવસારીમાં કૃષિ વિભાગના દરોડા:ઔદ્યોગિક એકમોમાંથી સબસિડાઇઝ્ડ યુરિયાના સેમ્પલ લેવાયા

રાજ્યભરમાં ખેડૂતો માટે સબસિડાઇઝ્ડ યુરિયા ખાતરના ઔદ્યોગિક એકમોમાં ગેરકાયદેસર ડાયવર્ઝનને રોકવા કૃષિ વિભાગ સક્રિય બન્યું છે. આ રાજ્યવ્યાપી ઝુંબેશના ભાગરૂપે, નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં વિવિધ ઔદ્યોગિક એકમો પર કૃષિ વિભાગની ટીમોએ દરોડા પાડી સઘન તપાસ હાથ ધરી હતી. કૃષિ વિભાગની ટીમોએ ચીખલીના માણેકપોર અને બામણવેલ વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોમાં આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન યુરિયા ખાતરના શંકાસ્પદ જથ્થાના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ એકમોમાં ટેકનિકલ ગ્રેડ યુરિયાને બદલે ખેતી માટેના નીમ કોટેડ યુરિયાનો ઉપયોગ થતો હોવાની ફરિયાદો મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ઔદ્યોગિક એકમો દ્વારા થતી આ ગેરરીતિ પાછળ મોટું આર્થિક કારણ જવાબદાર છે. ટેકનિકલ ગ્રેડ યુરિયાની બજાર કિંમત આશરે ₹35 થી ₹42 પ્રતિ કિલો છે, જ્યારે ખેતી માટેનું સબસિડાઇઝ્ડ યુરિયા સરકાર દ્વારા ખેડૂતોને માત્ર ₹6 પ્રતિ કિલોના ભાવે આપવામાં આવે છે. આમ, કિલો દીઠ ₹30 થી ₹35 નો મોટો ફાયદો મેળવવા ઉદ્યોગો ખેડૂતોના સસ્તા યુરિયાની કાળાબજારી કરી રહ્યા છે. ઉદ્યોગો દ્વારા ટેકનિકલ ગ્રેડ યુરિયાને બદલે સબસિડાઇઝ્ડ યુરિયાના ઉપયોગની ફરિયાદો વધતા કૃષિ પંચે કડક વલણ અપનાવ્યું છે. વિભાગે જણાવ્યું છે કે, જો લેવાયેલા સેમ્પલના રિપોર્ટમાં એગ્રીકલ્ચર ગ્રેડ યુરિયાનો પુરાવો મળશે, તો સંબંધિત એકમો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેમના લાયસન્સ રદ કરવા સુધીના પગલાં લેવામાં આવશે. સુરત કૃષિ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર વિક્રમભાઈ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, કૃષિ અને સહકાર વિભાગ દ્વારા 28, 29 અને 30 જાન્યુઆરી, 2026 દરમિયાન સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળા દવા, ખાતર અને બિયારણ મળી રહે તે હેતુથી એક ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશના ભાગરૂપે, નવસારી જિલ્લાના માણેકપોર ગામે આવેલી શ્રી કેમિકલ કંપનીમાં આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. આ કંપની તેની પ્રોડક્ટ બનાવવામાં ટેકનિકલ ગ્રેડ યુરિયાનો ઉપયોગ કરે છે. હાલમાં યુરિયાના સેમ્પલિંગની કામગીરી ચાલી રહી છે અને ભવિષ્યમાં જરૂર પડ્યે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 1:44 pm

પાટણ પોલીસે વ્યાજખોરોથી મુક્તિ માટે લોન મેળો યોજ્યો:19 લાભાર્થીઓને 62.12 લાખની લોન અપાઈ, રાષ્ટ્રીયકૃત બેંકો સહભાગી

પાટણ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ અને બેંકોના સહયોગથી લોન મેળાનું આયોજન કરાયું હતું. વ્યાજખોરોના વિષચક્રમાંથી સામાન્ય જનતાને બચાવવા અને સ્વરોજગાર માટે સરળતાથી ધિરાણ મળી રહે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. આ મેળામાં 19 લાભાર્થીઓને કુલ 62.12 લાખ રૂપિયાની લોનનું વિતરણ કરવામાં આવ્યું. પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી. કે. નાયીની સૂચના અને એલડીએમ પાટણના સહકારથી આ વિશેષ લોન મેળો યોજાયો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને વ્યવસાય કે રોજગાર માટે જરૂરી નાણાં બેંકો મારફતે સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો હતો. સામાન્ય રીતે, નાણાંની જરૂરિયાત સમયે લોકો ઊંચા વ્યાજે રૂપિયા લેતા હોય છે અને વ્યાજના વિષચક્રમાં ફસાઈ જાય છે. આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય અને જરૂરિયાતમંદોને અધિકૃત બેંકિંગ ચેનલ દ્વારા આર્થિક સહાય મળે તે માટે આ પહેલ કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડા જેવી રાષ્ટ્રીયકૃત બેંકોએ સક્રિય ભૂમિકા ભજવી હતી. પોલીસ તંત્ર અને બેંકિંગ ક્ષેત્રના આ સમન્વયથી આગામી સમયમાં પણ જરૂરિયાતમંદોને વ્યાજખોરોથી બચાવવા માટે આ પ્રકારના લોન સહાય મેળાનું આયોજન ચાલુ રાખવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 1:43 pm

રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો:સૌથી ઠંડુ શહેર નલિયા; 48 કલાકમાં તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો વધારો થશે

રાજ્યમાં થોડા સમયથી અનુભવાતી કડકડતી ઠંડીમાં હવે આંશિક ઘટાડો નોંધાવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, આગામી 48 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. જોકે પવનની ગતિ યથાવત્ રહેવાની આગાહી કરવામાં આવી છે. દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી ત્રણ દિવસ બાદ ફરી એક વખત તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે, જેના કારણે ઠંડીમાં વધારો થઈ શકે છે. વિવિધ શહેરોમાં નોંધાયેલું લઘુત્તમ તાપમાનછેલ્લા 24 કલાકમાં રાજ્યના વિવિધ શહેરોમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 12.8 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં 11.6 ડિગ્રી, વડોદરામાં 13.8 ડિગ્રી, ભાવનગરમાં 15.2 ડિગ્રી અને ભુજમાં 11.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. દમણમાં 15.4 ડિગ્રી, ડીસામાં 11.3 ડિગ્રી, દીવમાં 11.9 ડિગ્રી અને દ્વારકામાં 14.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. 7 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુજ્યારે ગાંધીનગરમાં 14.5 ડિગ્રી, કંડલામાં 14 ડિગ્રી, રાજકોટમાં 10.5 ડિગ્રી અને સુરતમાં 14.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. પોરબંદરમાં 12.5 ડિગ્રી અને વેરાવળમાં 14.7 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન રહ્યું હતું. રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યું છે, જ્યાં લઘુતમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે ઓખામાં તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 1:40 pm

રેલવેની સુરક્ષામાં ખામી કે મજબૂરી ?:જૂનાગઢના ચોબારી ફાટક પાસે મધરાતે 1.08 વાગ્યે ખુલ્લા ફાટકે પૂરપાટ ઝડપે ટ્રેન પસાર થતા ફાટક ક્રોસ કરતા વાહન ચાલકોમાં ફફડાટ,રેલ્વેએ ટેકનિકલ ખામી ગણાવી.

​શહેરના ચોબારી ફાટક પાસે ગત મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં રેલવે ફાટક ખુલ્લું હોવા છતાં ટ્રેન પૂરપાટ ઝડપે પસાર થતી જોવા મળી હતી. સામાન્ય રીતે ટ્રેન આવવાના સમયે ફાટક બંધ હોવું સુરક્ષાની દ્રષ્ટિએ અનિવાર્ય છે, પરંતુ રાત્રિના 1.08 મિનિટની આસપાસ જ્યારે ફાટક ખુલ્લું હતું ત્યારે જ ટ્રેન ધસમસતી પસાર થઈ હતી. આ સમગ્ર દ્રશ્યનો વીડિયો કોઈ જાગૃત નાગરિકે કેમેરામાં કેદ કરી લીધો હતો, જે સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. ​વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ફાટકનો જે બેરિયર વાહનોને રોકવા માટે હોય છે તે હવામાં ખુલ્લો છે અને ટ્રેન પોતાની પૂરતી ગતિમાં ટ્રેક પરથી પસાર થઈ રહી છે. મધરાતનો સમય હોવાથી સદનસીબે રોડ પર વાહનોની અવરજવર નહિવત હતી, અન્યથા કોઈ મોટો અકસ્માત સર્જાઈ શક્યો હોત. આ વીડિયો વાયરલ થતા જ લોકોએ રેલવે વિભાગની આકરી ટીકા કરી તેને 'ગંભીર બેદરકારી' ગણાવી હતી. ​જોકે આ મામલે સત્યતા જાણવા જ્યારે દિવ્ય ભાસ્કરે રેલવે વિભાગના અધિકારી રાઠવા સાથે વાતચીત કરી ત્યારે તેમણે ઘટના પાછળનું ટેકનિકલ કારણ સ્પષ્ટ કર્યું હતું કે તે સમયે ફાટકના સ્લાઈડીંગ બૂમનો વાયર અચાનક તૂટી ગયો હતો. આવી પરિસ્થિતિમાં જ્યારે મુખ્ય સિસ્ટમ કામ ન કરતી હોય ત્યારે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે લિફ્ટિંગ બૂમનો ઉપયોગ કરીને ટ્રેનને સલામત રીતે પસાર કરવાની ફરજ પડી હતી. ​અધિકારીએ રેલવેની સતર્કતાનો બચાવ કરતા વધુમાં ઉમેર્યું હતું કે, ભલે વીડિયોમાં ફાટક ખુલ્લું દેખાતું હોય, પરંતુ તે સમયે રેલવે સ્ટાફ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી હતી. ફાટક પાસે કોઈ પણ પ્રકારના વાહનો કે લોકો રેલવે ટ્રેકની નજીક ન પહોંચે તે સુનિશ્ચિત કર્યા બાદ જ ટ્રેનને આગળ વધવાની મંજૂરી આપવામાં આવી હતી. આમ, રેલવેના મતે આ બેદરકારી નહીં પરંતુ ટેકનિકલ ખામી સમયે લેવાયેલા ત્વરિત સુરક્ષા પગલાં હતા. ​હાલમાં આ વીડિયો જૂનાગઢમાં ભારે ચર્ચા જગાવી રહ્યો છે. ભલે રેલવે તંત્ર તેને ટેકનિકલ ફોલ્ટ ગણાવી રહ્યું હોય, પરંતુ સામાન્ય લોકોમાં હજુ પણ ભય છે કે આવી મહત્વની જગ્યાએ વાયર તૂટી જવાની ઘટનાઓ સુરક્ષા માટે જોખમી બની શકે છે. રેલવે વિભાગ દ્વારા આ પ્રકારની ખામીઓનું તાત્કાલિક નિવારણ લાવવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે લોકો માંગ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 1:35 pm

પાટણમાં માસ્ટર કીથી ચોરી કરનાર ઝડપાયો:2.76 લાખનો મુદ્દામાલ રિકવર, ગીઝર રિપેરિંગ બહાને ચાવી ચોરી

પાટણ શહેરના સિદ્ધચકની પોળમાં આવેલા એક બંધ મકાનમાં માસ્ટર કીનો ઉપયોગ કરીને લાખોની ચોરી કરનાર શખ્સને પાટણ એ ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો છે. આરોપીએ અગાઉ આ ઘરમાં ગીઝર રિપેરિંગના બહાને ચાવી ચોરી હતી. પોલીસે આરોપી પાસેથી સોના-ચાંદીના દાગીના અને વાસણો સહિત કુલ રૂ. 2,76,400 નો મુદ્દામાલ કબજે કર્યો છે. મુંબઈ સ્થિત કુશલભાઈ મનોજભાઈ નવીનચંદ્ર સંઘવીએ પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદ મુજબ, પાટણ સ્થિત તેમના વડીલોપાર્જિત મકાનમાં 27/12/2025 થી 23/01/2026 દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે તાળું તોડ્યા વગર પ્રવેશ કરી સોનાની ચેઈન, ચાંદીના સિક્કા, પૂજાના સાધનો અને પિત્તળ-જર્મન સિલ્વરના વાસણોની ચોરી કરી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન એફ.એસ.એલ. (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે પોલીસે પાટણના ચાયરીયા વિસ્તારમાં રહેતા 41 વર્ષીય જીતેન્દ્ર દિનેશભાઈ કાંતીલાલ મોદીને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે, આશરે એક વર્ષ અગાઉ તે ફરિયાદીના ઘરે ગીઝર રિપેરિંગ કરવા ગયો હતો. તે સમયે તેણે ઘરની એક ચાવી ચોરી લીધી હતી. ફરિયાદી મુંબઈ રહેતા હોવાથી મકાન બંધ રહેતું હતું, જેનો લાભ ઉઠાવી આરોપીએ પોતાની પાસે રહેલી ચાવીથી ઘર ખોલ્યું હતું. ઘરમાં પ્રવેશ કર્યા બાદ તેણે લોખંડની તિજોરી અને કબાટ કાપવા માટે ઈલેક્ટ્રિક ગ્રાઇન્ડર મશીનનો ઉપયોગ કર્યો હતો. ચોરી કર્યા બાદ કોઈને શંકા ન જાય તે માટે તેણે પાટણ બજારમાંથી નવું તાળું લાવી ઘરને મારી દીધું હતું. આરોપીએ કબૂલ્યું છે કે તે છેલ્લા એક માસથી દિવસ કે રાત્રિના સમયે રેકી કરી ચોરી કરતો હતો. પોલીસે આરોપી પાસેથી 10 ગ્રામ સોનાની લગડી (કિંમત રૂ. 1,25,000), 400 ગ્રામ ચાંદી (કિંમત રૂ. 1,25,000), પિત્તળના તપેલા, થાળી અને વાટકા, જર્મન સિલ્વરના વાસણો તેમજ ચોરીમાં વપરાયેલ ઈલેક્ટ્રિક કટર સહિત કુલ રૂ. 2,76,400 નો મુદ્દામાલ રિકવર કર્યો છે. હાલમાં પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી આ ગુનામાં અન્ય કોઈ શખ્સોની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 1:30 pm

ગઢડામાં મતદાર યાદીમાંથી નામ કમી કરવાનો પ્રયાસ:કોંગ્રેસનો આરોપ: 1100થી વધુ લોકોના નામ કાઢવાનો પ્રયાસ

બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં મતદાર યાદી મુદ્દે મોટો વિવાદ સામે આવ્યો છે. ગઢડા નગરપાલિકાના સદસ્ય સહિત ૧૧૦૦થી વધુ લોકોના નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે ફોર્મ નંબર-૭નો દુરુપયોગ થયો હોવાના આરોપ સાથે કોંગ્રેસે ગઢડા મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું છે અને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે. કોંગ્રેસના જણાવ્યા અનુસાર, ગઢડા શહેરમાં ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન નગરપાલિકાના વોર્ડ નંબર-૪ના સદસ્ય કુલસુમબેન ચૌહાણ સહિત અંદાજે ૧૧૦૦ લોકોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવા માટે ખોટી રીતે ફોર્મ નંબર-૭ ભરવામાં આવ્યા હતા. આ મામલે નોટિસ મળતા જ કોંગ્રેસના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમતભાઈ કટારીયા સહિતના આગેવાનોએ આરોપ લગાવ્યો હતો કે, ખાસ કરીને કોંગ્રેસના મતદારોને નિશાન બનાવીને તેમને બંધારણથી મળેલા મતાધિકારથી વંચિત રાખવાનો પ્રયાસ કરાયો છે. તેમણે દાવો કર્યો કે એક ચોક્કસ ઓફિસમાંથી જ ફોર્મ નંબર-૭ ભરવામાં આવી રહ્યા છે અને આ એક પૂર્વયોજિત ષડયંત્ર છે. કોંગ્રેસે માંગ કરી છે કે ફોર્મ નંબર-૭ ભરવા આવેલા તમામ લોકોના CCTV ફૂટેજ તપાસવામાં આવે અને જવાબદાર તત્વો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવે. બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમતભાઈ કટારીયા અને ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ વેલાણીએ ચીમકી ઉચ્ચારી હતી કે જો ખોટા ફોર્મ ભરનારાઓ સામે કડક કાર્યવાહી નહીં થાય, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 1:23 pm

મોરબી હાઈવે પર ટ્રક હડફેટે આધેડનું મોત:રોડ ક્રોસ કરતી વખતે અકસ્માત, ચાલક ફરાર

મોરબી-વાંકાનેર હાઈવે પર એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં રોડ ક્રોસ કરી રહેલા 54 વર્ષીય આધેડનું ટ્રક ડમ્પરની હડફેટે ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસે મૃતકના ભત્રીજાની ફરિયાદના આધારે અજાણ્યા ટ્રક ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ધ્રોલ તાલુકાના નાના ગરેડીયા ગામના રહેવાસી મહેશભાઈ દેશુરભાઈ બરબચિયા (ઉં.વ. 54) રીઝલ્ટા હોટલ સામેથી જમવા માટે રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન એક અજાણ્યા ટ્રક ડમ્પરના ચાલકે તેમને હડફેટે લીધા હતા. અકસ્માતમાં ટ્રકના ટાયર તેમના પેટ પર ફરી વળતા તેમને ગંભીર ઈજાઓ થઈ હતી, જે જીવલેણ નીવડી હતી. મૃતક મહેશભાઈ બરબચિયા પોતે ટ્રક ડ્રાઈવર હતા. તેઓ મોરબીથી નવસારી માલ ભરીને જવાના હતા. ટ્રકમાં માલ ભરવામાં સમય લાગી રહ્યો હોવાથી, તેઓ રોડ ક્રોસ કરીને જમવા માટે જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. આ બનાવ અંગે મૃતકના ભત્રીજા બ્રિજેશભાઈ હેમંતભાઈ બરબચિયા (ઉં.વ. 22) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ટ્રક ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અકસ્માત સર્જ્યા બાદ ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરાર ચાલકને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 1:22 pm

દિવાન બલ્લુભાઈ સ્કૂલના 6 વિદ્યાર્થી ગુમ થતા પોલીસ દોડતી થઈ:ઇન્સ્ટાગ્રામમાં વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થતાં શાળાએ માતા-પિતાને સાથે લાવવાનું કહેતા વિદ્યાર્થીઓ ભાગી ગયા, એક સબંધીના ઘરેથી મળ્યા

અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલી દિવાન બલ્લુભાઈ સ્કૂલના 6 સગીર વયના વિદ્યાર્થીઓ ગઈકાલે(28 જાન્યુઆરી, 2026એ) મોડી સાંજે અચાનક ગાયબ થઈ ગયા હતા. વિદ્યાર્થીઓ ગાયબ થતા વાલીઓ અને સંચાલકો ચિંતામાં મુકાયા હતા. પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ કરીને લોકેશનના આધારે એક વિદ્યાર્થીને શોધ્યો જેના આધારે તમામ વિદ્યાર્થી એક વિદ્યાર્થીના સબંધીના ઘરેથી મળી આવ્યા હતા. ઈન્સ્ટાગ્રામ ગ્રુપમાં થયેલા ઝઘડા બાદ વિદ્યાર્થીઓ ગાયબ થયા હતા. બુધવારે સાંજે વિદ્યાર્થીઓ અચાનક ગુમ થયાદિવાન બલ્લુભાઈ સ્કૂલના 6 સગીર વિદ્યાર્થીઓ બુધવારે સાંજે અચાનક ગુમ થયા હતા જેથી પોલીસ અને વિદ્યાર્થીઓના પરિવારજનો દોડતા થયા હતા. સાંજે વિદ્યાર્થીઓના અચાનક ગાયબ થવાની જાણ શાળા સંચાલન દ્વારા પોલીસને કરવામાં આવતા મામલો ગંભીર બન્યો હતો. મોબાઇલ લોકેશનના આધારે વિદ્યાર્થીઓ મળ્યાઆ અંગે પાલડી પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરી હતી. તપાસ કરતા એક વિદ્યાર્થી પાસે મોબાઇલ ફોન હતો જેથી તે ફોનનું લોકેશન વેજલપુર વિસ્તારમાં આવેલા એક ઘરમાં મળતા ત્યાં તપાસ કરતા તમામ લોકો મળી આવતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. માતા-પિતાને સાથે લાવવાનું કહેતા વિદ્યાર્થીઓ ભાગી ગયાપોલીસે તપાસ કરતા તમામ 6 વિદ્યાર્થીઓ જે ઘર ખાતે મળી આવ્યા હતા તે ઘર એક વિદ્યાર્થીના સંબંધીનું હોવાનું બહાર આવ્યું હતું. સમગ્ર ઘટનાનું મૂળ કારણ વિદ્યાર્થીઓ વચ્ચે ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં થયેલો વિવાદ હતો. ઓનલાઈન ચેટ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેની જાણ શાળા સંચાલનને થઈ હતી. બાદમાં ઠપકો આપવામાં આવ્યો હતો અને માતા-પિતાને સાથે લાવવા સૂચના આપવામાં આવી હતી. આ ડરથી વિદ્યાર્થીઓ ભાગી ગયા હોવાનું સામે આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 1:21 pm

સાબરકાંઠા LCBએ 19 આરોપીઓને ઝડપ્યા:પોશીના પોલીસ સ્ટેશનના ધાડ-આર્મ્સ એક્ટ કેસમાં 11 વર્ષથી ફરાર હતા

સાબરકાંઠા LCBએ પોશીના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ધાડ અને આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા 11 વર્ષથી ફરાર 19 આરોપીઓને રાજસ્થાનના ઉદેપુર જિલ્લામાંથી ઝડપી પાડ્યા છે. આ તમામ આરોપીઓને વધુ કાર્યવાહી માટે પોશીના પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા. ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ દ્વારા સાબરકાંઠા જિલ્લા, ગુજરાત રાજ્ય અને રાજ્ય બહારના ફરાર આરોપીઓને પકડવા માટે સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે, સાબરકાંઠા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે 6 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી 2026 સુધી ફરાર આરોપીઓને પકડવા માટે એક વિશેષ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. આ ડ્રાઇવ અંતર્ગત, સાબરકાંઠા LCBના ડી.સી. સાકરિયાના માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીઓની ટીમ અને પેરોલ ફર્લો સ્ક્વોડના અધિકારી PSI કે.સી. બ્રહ્મભટ્ટ તથા કર્મચારીઓની ટીમો બનાવવામાં આવી હતી. આ દરમિયાન, શૈલેષભાઈ અને પ્રદીપસિંહને બાતમી મળી હતી કે, પોશીના પોલીસ સ્ટેશનના ધાડ અને આર્મ્સ એક્ટના ગુનામાં 11 વર્ષથી ફરાર આરોપીઓ ઉદેપુર જિલ્લાના કોટડા તાલુકાના પાડલી ગામમાં ભૈરવ મહારાજની મૂર્તિ સ્થાપન પ્રસંગે પ્રાથમિક શાળા પાસે એકઠા થયા છે. આ બાતમીના આધારે LCB ટીમે સ્થળ પર પહોંચી તમામ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં ખેતાભાઈ લાખાભાઈ બુંબડિયા (ઉ.વ. 60), ધનાભાઈ સાયબાભાઈ બુંબડિયા (ઉ.વ. 41), પુંજાભાઈ લલ્લુભાઈ બુંબડિયા (ઉ.વ. 43), બાબુભાઈ લાખાભાઈ બુંબડિયા (ઉ.વ. 63), ભીખાભાઈ લાખાભાઈ બુંબડિયા (ઉ.વ. 63), લલ્લુભાઈ લાખાભાઈ બુંબડિયા (ઉ.વ. 60), શ્રવણભાઈ ખેતાભાઈ બુંબડિયા (ઉ.વ. 46), સીનાભાઈ લાખાભાઈ બુંબડિયા (ઉ.વ. 60), સાયબાભાઈ લાખાભાઈ બુંબડિયા (ઉ.વ. 57), ચંદુભાઈ નાનાભાઈ બુંબડિયા (ઉ.વ. 34), જેઠાભાઈ ભુરાભાઈ બુંબડિયા (ઉ.વ. 75), નાણાભાઈ ઉર્ફે નાણીયા રેશ્માભાઈ બુંબડિયા (ઉ.વ. 36), ભુપતાભાઈ ઉર્ફે પોગતા નાનાભાઈ બુંબડિયા (ઉ.વ. 42), મનાભાઈ નાનાભાઈ બુંબડિયા (ઉ.વ. 45), રાણાભાઈ લીંબાભાઈ બુંબડિયા (ઉ.વ. 36), રેશ્માભાઈ નાનાભાઈ બુંબડિયા (ઉ.વ. 53), રાવાભાઈ જેઠાભાઈ બુંબડિયા (ઉ.વ. 34), રમેશભાઈ લીંબાભાઈ બુંબડિયા (ઉ.વ. 31) અને લીંબાભાઈ ભુરાભાઈ બુંબડિયા (ઉ.વ. 70)નો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના કોટડા તાલુકાના પાડલી ગામના રહેવાસી છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 1:18 pm

ધાંગધ્રા-હળવદ હાઇવે પર ટ્રાવેલ્સ પલટી:બે મુસાફરો ઈજાગ્રસ્ત, મોટી જાનહાની ટળી

ધાંગધ્રા-હળવદ હાઇવે પર સોલડી ગામ નજીક એક ખાનગી ટ્રાવેલ્સ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં બે મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા, જોકે સદનસીબે મોટી જાનહાની ટળી હતી. 'જય ખોડીયાર' નામની આ ટ્રાવેલ્સ મોરબી-હળવદ-ધાંગધ્રા-સુરેન્દ્રનગર રૂટ પર દોડતી હતી. સોલડી નજીક ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રાવેલ્સ પલટી મારી ગઈ હતી. અકસ્માત બાદ ટ્રાવેલ્સમાં બેઠેલા મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. ઈજાગ્રસ્ત થયેલા બે મુસાફરોને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે ધાંગધ્રા-હળવદ હાઇવે પર અગાઉ પણ અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે, જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. આ હાઇવે પર વાહનચાલકોની બેદરકારી અને માર્ગ સુરક્ષાના અભાવને કારણે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જે માર્ગ સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 1:17 pm

જામનગરમાં બેકાબૂ કાર પલટી, એક રાહદારી ઘાયલ:રણજીતસાગર રોડ પર ગ્રીન સિટી પાસે અકસ્માત

જામનગરમાં રણજીતસાગર રોડ પર ગ્રીન સિટી વિસ્તારમાં આજે વહેલી સવારે એક બેકાબૂ કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં મોર્નિંગ વોક કરી રહેલા એક રાહદારીને ઈજા પહોંચી હતી. જી.જે.10 ડી.એન.3091 નંબરની આ કારનો ચાલક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી બેઠો હતો. કાર રોડની વચ્ચેના ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી અને ઊંધી થઈ ગઈ હતી. અકસ્માત સમયે ત્યાંથી પસાર થઈ રહેલા રાહદારીને કારની ટક્કર વાગતા ઈજા થઈ હતી. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જી કારનો ચાલક ઘટનાસ્થળેથી પોતાની કાર છોડીને ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં સીટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 1:16 pm

હેડ કોન્સ્ટેબલની આત્મહત્યા મામલે અંતે PSI સામે ફરિયાદ:બી.કે. ગોસ્વામીના ત્રાસના કારણે ઝેરી દવા પી લઈ જિંદગી ટૂંકાવી, કરણીસેનાનું અલ્ટીમેટમ પૂર્ણ થાય તે પહેલા કાર્યવાહી

ભાવનગર પોલીસ બેડામાં ચકચાર જગાવનાર હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલના આત્મહત્યા કેસમાં આખરે આઠ દિવસ બાદ ઘોઘા પોલીસ મથકના જ PSI બી.કે. ગોસ્વામી વિરુદ્ધ આત્મહત્યા માટે મજબૂર કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે, આ બનાવ અંગે મૃતક દિગ્વિજયસિંહના પિતા જેઓ પોતે નિવૃત્ત પોલીસ કર્મચારી છે જેના દ્વારા ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, પરિવારનો સ્પષ્ટ આક્ષેપ છે કે PSI દ્વારા કરવામાં આવતા માનસિક ત્રાસ અને હેરાનગતિના કારણે દિગ્વિજયસિંહે અંતિમ પગલું ભર્યું હતું. ​ગત 21 જાન્યુઆરીના રોજ હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે કોઈ અગમ્ય કારણોસર પરિવારના મતે માનસિક ત્રાસના કારણે ઝેરી દવા પી લીધી હતી, જે બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન 22 જાન્યુઆરીના રોજ તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું, અને ​ઘટનાના આઠ દિવસ બાદ અને પરિવારના સતત ન્યાયની માંગણી બાદ, તે જ પોલીસ મથકના PSI વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા પોલીસ આલમમાં ખળભળાટ મચી ગયો છે જેના PSI બી.કે. ગોસ્વામી વિરુદ્ધ BNS ની કલમ108 હેઠળ ગુનો નોંધાયો છે, શું હતો સમગ્ર મામલો? 21 જાન્યુઆરી, 2026ની સાંજે ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ જયદેવસિંહ ગોહિલે ચાલુ ફરજ દરમિયાન ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામ નજીક પોતાની કારમાં જ ઝેરી દવા પી લીધી હતી. તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે, ઘોઘા પોલીસ સ્ટેશનના PSI બી.કે. ગોસ્વામી દ્વારા દિગ્વિજયસિંહને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ સતત થઈ રહેલા શોષણ અને ત્રાસથી કંટાળીને જ તેમણે અંતિમ પગલું ભર્યું હોવાનું પરિવાર જણાવી રહ્યો છે.(સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 1:08 pm

આઈસ્ટાર કોલેજ MIHS વિભાગે ગ્લોબલ એલ્યુમની સમિટ:દેશ-વિદેશના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઓનલાઈન-ઓફલાઈન માધ્યમથી જોડાયા

ચારુતર વિદ્યામંડળ સંચાલિત આઈસ્ટાર કોલેજના ઇન્ડસ્ટ્રીયલ હાઈજીન એન્ડ સેફ્ટી (MIHS) વિભાગ દ્વારા મધુબન રિસોર્ટ ખાતે 'ગ્લોબલ એલ્યુમની સમિટ-2026'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં દેશ-વિદેશની મોટી કંપનીઓમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમથી જોડાયા હતા. તેમણે પોતાની સફળતાની ગાથા રજૂ કરી હતી. કાર્યક્રમના મુખ્ય અતિથિ ચારુતર વિદ્યામંડળના ચેરમેન ભીખુભાઈ પટેલે જણાવ્યું હતું કે, આઈસ્ટારના વિદ્યાર્થીઓએ વૈશ્વિક સ્તરે જે સ્થાન પ્રાપ્ત કર્યું છે તેનાથી સંસ્થાનું ગૌરવ વધ્યું છે. વિદ્યાર્થીઓની સફળતા એ સંસ્થાની સાચી મૂડી છે. આ પ્રસંગે તેમની સાથે મહર્ષિ મહેતા, જે.એચ. પટેલ અને પ્રિન્સિપાલ ડો. મહેન્દ્રસિંહ એમ. રાજ પણ ઉપસ્થિત રહ્યા હતા. વિભાગના કોઓર્ડીનેટર બૈજુ વર્ગીસે સૌનું સ્વાગત કર્યું હતું. આ સમિટમાં વિવિધ મલ્ટીનેશનલ કંપનીઓમાં કાર્યરત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ માર્ગદર્શન આપ્યું હતું. ઉદ્યોગ જગતના અગ્રણીઓ જેવા કે 3M ઇન્ડિયા લિમિટેડના મિરેશ દેસાઈ, RECOHના શ્રેણિક રાણપુરા, ફોર્ડ ઇન્ડિયામાંથી દિપેન સાકરિયા, વર્લ્ડ બેંકમાંથી હિતાર્થ મહેતા, રોશ ફાર્માસ્યુટિકલ્સમાંથી કોમલ શિયાણી, BP (બ્રિટિશ પેટ્રોલિયમ)માંથી જૈનિલ પંચાલ અને Xellia ફાર્મામાંથી અભિ મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ખિલન પટેલ અને મયંક પટેલે કર્યું હતું. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીના ક્ષેત્રમાં રહેલી પુષ્કળ તકો વિશે માહિતી આપી હતી. અંતમાં કરણ પટેલે આભારવિધિ કરી હતી. આ સમિટ દ્વારા જૂના અને નવા વિદ્યાર્થીઓ વચ્ચે એક મજબૂત સેતુ બંધાયો, જે ભવિષ્યમાં રોજગારી અને માર્ગદર્શન માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 1:08 pm

કોંગ્રેસ જીતે તો 50 વાર સુધીના મકાનનો વેરો માફ:રાજકોટમાં ડે. મેયરનાં વોર્ડમાં લોકોની અસુવિધા અંગે કોંગ્રેસે લોકોના પ્રતિભાવ મેળવ્યા, ભાજપનાં શાસનમાં પ્રજા હેરાન-પરેશાન હોવાનો શહેર પ્રમુખનો દાવો

રાજકોટ સહિતની મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે. જેને લઈ કોંગ્રેસ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસના આગેવાનોએ 'કોંગ્રેસ આપકે દ્વાર' અભિયાન અંતર્ગત લોકોની રૂબરૂ મુલાકાતો લઈ તેમની સમસ્યાઓ અને જરૂરિયાતો જાણવાનું શરૂ કર્યું છે. જે અંતર્ગત આજે શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરો ડે. મેયર નરેન્દ્રસિંહનાં વોર્ડ નં 3માં પહોંચ્યા હતા. જ્યાં વેપારીઓ અને લોકોની સાથે રૂબરૂ મુલાકાત કરી તેમની સમસ્યા જાણવા પ્રયાસ કર્યો હતો. આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખે આગામી ચૂંટણીમાં કોંગ્રેસ જીતે તો 50 વાર સુધીના મકાનનો વેરો સંપૂર્ણ માફ કરવાનું જાહેર કર્યું હતું. આ સાથે જ ભાજપનાં શાસનમાં પ્રજા હેરાન-પરેશાન હોવાનો દાવો કર્યો હતો. શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં ભાજપ શાસિત મ્યુ. કોર્પોરેશન અને કમિશનર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, જો આગામી સમયમાં કોર્પોરેશનમાં કોંગ્રેસનું બોર્ડ બનશે, તો 50 વાર સુધીના મકાનો ધરાવતા સામાન્ય પરિવારો પાસેથી કોઈપણ પ્રકારનો વેરો વસૂલવામાં આવશે નહીં. હાલ કોર્પોરેશન માત્ર સામાન્ય જનતા અને નાના વેપારીઓ પાસેથી વેરાની ઉઘરાણી કરવામાં વ્યસ્ત છે. અમદાવાદ જેવી મહાનગરપાલિકામાં વ્યાજ માફીની યોજનાઓ અમલમાં છે, જ્યારે રાજકોટમાં તંત્ર લોકો પર દબાણ કરી રહ્યું છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે મોબાઈલ ટાવર, સરકારી યુનિવર્સિટી, કલેક્ટર ઓફિસ અને PWD જેવી સંસ્થાઓ પાસે કરોડોના વેરા બાકી હોવા છતાં તેમની સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે જો આ પક્ષપાતી વલણ ચાલુ રહેશે, તો આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા મ્યુ. કમિશનરનો ઘેરાવ પણ કરવામાં આવશે. વધુમાં જાડેજાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ આગામી સમયમાં 14 મુદ્દાઓનો મેનિફેસ્ટો જાહેર કરવા જઈ રહી છે. આ મેનિફેસ્ટો કોઈ બંધ બારણે તૈયાર કરવામાં નહીં આવે, પરંતુ શહેરના તમામ 18 વોર્ડના લોકો પાસેથી ફોર્મ ભરાવીને તેમની રજૂઆતો અને વેદનાઓને વાચા આપવા માટે તૈયાર કરવામાં આવશે. આ અભિયાનનો પ્રારંભ મેયરનાં વોર્ડમાંથી કરવામાં આવ્યો હતો. આજે ડેપ્યુટી મેયરનાં વોર્ડ નં 3માં કોંગ્રેસના કાર્યકરો પહોંચ્યા છે, અને લોકોની સમસ્યા તેમજ જરૂરિયાત જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ડેપ્યુટી મેયરના વોર્ડમાં પણ લોકોની સમસ્યાઓ પ્રત્યે તંત્રની ઉદાસીનતા હોવાનો આક્ષેપ કરતા કહ્યું કે, શાસક પક્ષના કોર્પોરેટરો પ્રજાના પ્રશ્નો સાંભળવા નીકળતા નથી. વોર્ડ નંબર 3 ના પ્રવાસ દરમિયાન ગંદા પાણી અને કચરાના નિકાલ જેવી સ્થાનિક સ્વરાજ્યની અનેક ફરિયાદો સામે આવી છે. કોંગ્રેસની ટીમ દ્વારા આ તમામ પ્રશ્નોના ઉકેલ માટે પૂરતા પ્રયાસો કરવામાં આવશે. સાથે જ લોકોને જ્યાં પણ તકલીફ હોય ત્યાં કોંગ્રેસનો સંપર્ક કરવાની અપીલ તેમણે કરી હતી.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 1:07 pm

રિવરફ્રન્ટ પર એક બાદ એક ચાર કાર વચ્ચે અકસ્માત:ભારે ટ્રાફિકજામ સર્જાયો, કારમાં સવાર મહિલા દર્દીને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડાયા

અમદાવાદના શાહીબાગ તરફના રિવરફ્રન્ટ પર એક સાથે ચાર ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના કારણે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.અકસ્માતમાં એક ગાડીમાં મહિલા દર્દીને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા જોકે અકસ્માત થતા મહિલાને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. એક બાદ એક ચાર કાર વચ્ચે અકસ્માત સર્જાયોમળતી માહિતી મુજબ ડફનાળાથી શાહીબાગ તરફ જતા રિવરફ્રન્ટ પર 11 વાગ્યાની આસપાસ એક અમેઝ કારની પાછળ વેગેનાર કાર અથડાઈ હતી જેની પાછળ અન્ય બે કાર અથડાઈ હતી આમ એક બાદ એક ચાર ગાડી એકબીજા સાથે અથડાઈ હતી અકસ્માતના સમયે વાહનોની અવરજવર વધુ હોવાના કારણે રિવરફ્રન્ટ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચીને ગાડી સાઈડમાં કરાવી ટ્રાફિક નિયંત્રણ કરાવ્યું હતું. એક કારમાં સવાર મહિલા દર્દીને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવાયાઅકસ્માતમાં એમપી પાસિંગની એક કાર હતી,જેમાં એક મહિલા દર્દીને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા. અકસ્માત દરમિયાન મહિલા દર્દીને સામાન્ય ઇજા પણ પહોંચી હતી જેથી મહિલાને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 12:53 pm

બાળ તસ્કરીનું આંતરરાજ્ય રેકેટ ઝડપાયું:અમદાવાદ એરપોર્ટ પાસેથી નવજાતનું રેસ્ક્યૂ; ચાર શખસ બાળકને હિંમતનગરથી 3.60 લાખમાં ખરીદી લાવ્યા હતા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ATSએ સંયુક્ત ઓપરેશનમાં આંતરરાજ્ય બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ એરપોર્ટ પાસેથી એક ગાડીમાંથી નવજાત બાળકનું રેસ્ક્યૂ કર્યું હતું. આ બાળકને ચાર શખસ હિંમતનગરથી 3.60 લાખમાં ખરીદીને લાવ્યા હતા. બાળકોને તસ્કરી કરીને તેમને ગુજરાત, તેલંગાણા અને યુપીના રાજ્યોમાં વેચી દેવામાં આવતા હતા. પોલીસે હાલ ચાર આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ….

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 12:42 pm

કાલુપુરની 30 ટ્રેનો સાબરમતી ડાઈવર્ટ કરાઈ પણ સુવિધા શૂન્ય:પાણી અને નાસ્તા માટે જનતાને વલખાં, પ્લેટફોર્મ પર જવા માટે પણ માત્ર એક જ એન્ટ્રી, રેલવે મંત્રી સુધી ફરિયાદ

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના પુનઃ નિર્માણનું કામ છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યું છે, જે પૂરુ થતા હજુ બીજા બે વર્ષ લાગવાના છે. જેથી કાલુપુરથી ઉપડતી અને આવતી લગભગ 30 ટ્રેનોને સાબરમતી રેલવે સ્ટેશન પર ડાઈવર્ટ કરાઈ છે, પરંતુ સાબરમતી રેલવે સ્ટેશન પર કોઈ જાતની સુવિધા નહીં હોવાને કારણે મુસાફરો ત્રાહીમામ પોકારી રહ્યા છે. સૌથી વધુ મુશ્કેલી પ્લેટફોર્મ પર પહોંચવામાં થઈ રહી છે. કેમકે અહીં મુસાફરોને ત્યાં જવા માટે માત્ર એક જ એન્ટ્રી છે. જેને કારણે ટ્રેન પકડવા માટે મુસાફરો ભારે દોડધામ કરી રહ્યા છે અને જોરદાર ભીડ થઈ રહી છે. આ સંદર્ભમં રેલવે મંત્રી, રેલવેના જનરલ મેનેજર તેમજ DRMને લેખિતમાં ફરિયાદ અપાઈ છે તેમજ મુસાફરોને પડતી તમામ પ્રકારની મુશ્કેલીઓને દૂર કરવાની માગણી કરાઈ છે. પ્લેટફોર્મ નં 1 પર અડધી જગ્યા બ્લોક, અડધુ બંધ, અડધુ ચાલુફરિયાદમાં જણાવાયું છે કે, કાલુપુર રેલવે સ્ટેશનના નવીનીકરણનું કામ ચાલુ હોવાથી આબુરોડ તરફ જતી તમામ ટ્રેનોને સાબરમતીથી ચલાવવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ અહીં પણ નવીનીકરણનું કામ ચાલુ હતું. જો કે, કુલ સાત પૈકીના પ્લેટફોર્મ નં 2 અને 3નું કામ લગભગ પૂર્ણ થઈ ગયુ છે આમ છત્તા તેનો ઉપયોગ કરાતો નથી. ઉપરાંત પ્લેટફોર્મ નં 1 ઉપર પણ અડધી જગ્યા બ્લોક કરાઈ છે અને અડધુ પ્લેટફોર્મ જ ચાલુ છે. જ્યારે પ્લેટફોર્મ નં 4, 5, 6 અને 7 ઉપર નવીનીકરણનુ કામ પણ હવે પૂરુ થવામાં છે. પ્લેટફોર્મ નં 6-7 ઉપર નાસ્તા માટેનો એક પણ સ્ટોલ નથીસાબરમતી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં 6-7 ઉપર હાલમાં નાસ્તા માટેનો એકપણ સ્ટોલ નથી. મુસાફરોને પીવાનું પાણી ખરીદવુ હોય તો આમતેમ જોવુ પડે છે પણ ક્યાંય કશુ દેખાતુ નથી. રેલવેના ટોચના અધિકારીઓ બધુ જાણતા હોવા છતાં શા માટે અહીં સ્ટોલની મંજૂરી નથી આપતા તે પ્રશ્ન પણ ખુબ મોટો છે. જો કે, પ્લેટફોર્મ નં 1ના પ્રવેશદ્વાર ઉપર એક સ્ટોલ છે એ પણ મોટાભાગે બંધ હાલતમાં હોય છે અથવા તો નાસ્તો કે પાણી પણ હોતું નથી. કાલુપુરની 30થી વધુ ટ્રેનોને હવે અહીંથી દોડાવાઈ રહી છેકાલુપુર રેલવે સ્ટેશનથી ઉપડતી જૂદી જૂદી એવી 30થી વધુ ટ્રેનોને હવે સાબરમતી રેલવે સ્ટેશનથી દોડાવાઈ રહી છે. ઉપરાંત અહીંથી અન્ય ઘણી ટ્રેનોની અવરજવર રહેતી હોય છે. આમ છતાં મુસાફરોને પીવાનું પાણી જોઈતું હોય તો મળી શકતું નથી. તંત્ર દ્વારા રેલવેનો વિકાસ કરાયાના દાવા કરાયા છે. જેથી ફરિયાદમાં એવુ પૂછાયું છે કે, જ્યાં પીવાના પાણીના પણ ફાંફાં હોય તેવા વિકાસને શું કરવાનો. સ્ટેશન ઉપર પાર્કિંગની પણ રામાયણથી સ્ટેશનની અંદર-બહાર ટ્રાફિક જામસાબમતી રેલવે સ્ટેશન પર કાર પાર્કિંગની પણ ચોક્કસ વ્યવસ્થા નથી. રોજના હજારો મુસાફરોની જ્યાં અવરજવર રહેતી હોય ત્યાં મોટું પાર્કિંગ આપવુ પડે, પરંતુ અહીં જૂજ કાર અને ટુ વ્હીલર આવી શકે એવું સાવ નાનુ પાર્કિંગ છે. જેને કારણે મુસાફરોને લેવા-મુકવા આવતી કાર સ્ટેશનની અંદર જ ફસાઈ જાય છે. સ્ટેશનની અંદર જ ટ્રાફિક જામ થઈ જાય છે. ત્યાર બાદ સ્ટેશનની બહારના રોડ પર પણ ટ્રાફિક જામ દેખાઈ રહ્યો છે. ખાસ કરીને ટ્રેનોના આવવા-જવાના સમયે અહીં મુશ્કેલીઓ વધી જાય છે. ટ્રાફિકને નિયંત્રણ કરવા માટેની પણ કોઈ જ વ્યવસ્થા નથી. જેને કારણે સ્ટેશનની અંદર અને બહાર રોજ નાના અકસ્માતો પણ થઈ રહ્યા છે. અમદાવાદ ડિવિજનના અધિકારીઓની બેદરકારી, કોઈ ધ્યાન આપતા નથીરેલવે મંત્રીને કરાયેલી ફરિયાદમાં જણાવાયું છે કે, અમદાવાદ ડિવિઝનના ટોચના અધિકારીઓ સમક્ષ આ સંદર્ભમાં અનેક મુસાફરોએ ફરિયાદો કરી છે, પરંતુ તેઓ કોઈ જ ધ્યાન આપતા નથી. તેમની બેદરકારી અને ખાસ કરીને ગુજરાતી મુસાફરો પ્રત્યે ઓરમાયું વર્તન રાખવાને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. 7મી જાન્યુઆરીના રોજ જનરલ મેનેજર આ સંદર્ભમાં જાતે તપાસ કરવા ગયા હતા, પરંતુ ત્યાર બાદ તેઓએ કોઈ જ કાર્યવાહી કરી નથી.જાણે ગુજરાતી મુસાફરોને જાણીજોઈને હેરાન કરાઈ રહ્યા હોય તેવુ લાગી રહ્યું છે. ટોચના અધિકારીઓ શા માટે એક બાબત સમજી નથી શકતા કે, મુસાફરોમાં વિશેષ સંખ્યા મહિલા તેમજ નાના બાળકોની પણ હોય છે. તેઓને બિસ્કિટ, દૂધ કે પાણી માટે ટળવળવું પડે તે સ્થિતિ પણ શરમજનક છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 12:34 pm

ગોધરા SSGITSના 150 વિદ્યાર્થીઓએ ગાયું વંદે માતરમ:રાષ્ટ્રીય ગીતની 150મી જયંતીની કરાઈ ઉજવણી

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલી શ્રી સ્વામિનારાયણ ગાદી ઇન્ટરનેશનલ ટેક્નો સ્કૂલ (SSGITS) દ્વારા 29 જાન્યુઆરી, 2026ના રોજ રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ'ની ૧૫૦મી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળામાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. આ કાર્યક્રમમાં શાળાના 150થી વધુ વિદ્યાર્થીઓએ એકસાથે 'વંદે માતરમ'નું ગાન કર્યું હતું. આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના કંઠે રાષ્ટ્રગીતનો નાદ ગુંજતા વાતાવરણમાં રાષ્ટ્રભાવનાનો સંચાર થયો હતો. 'વંદે માતરમ' ગીતના 150મા વર્ષ નિમિત્તે ૧૫૦થી વધુ બાળકોએ ભાગ લઈને આ ઉજવણીને વિશેષ બનાવી હતી. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રીય પ્રતીકો પ્રત્યે આદર વધારવાનો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે, 'વંદે માતરમ' માત્ર એક ગીત નથી, પરંતુ કરોડો ભારતીયોની લાગણી છે. તેમણે ગોધરાની આ શાળાએ નવી પેઢીને દેશના વારસા સાથે જોડવાના પ્રયાસોને બિરદાવ્યા હતા. આ કાર્યક્રમના દ્રશ્યો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. લોકો ગોધરાની આ શાળાની આ પહેલને સરાહી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 12:32 pm

કોળી સમાજની ન્યાય સભાના બેનર ફાટ્યાં, CCTV:સરિતા સોસાયટી વિસ્તારમાં બાઈક પર આવેલી બે વ્યક્તિ બેનર ઉખેડી સાથે લઈ ગઈ; મિટિંગમાં નિર્ણય કરીશુંઃ કિશન મેર

બગદાણાના પૂર્વ સરપંચ નવનીત બાલધિયાને માર મારવાના પ્રકરણમાં 1 ફેબ્રુઆરીના રોજ ભાવનગરના કુંભારવાડા અક્ષરપાર્ક ખાતે ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ન્યાય સભાના બેનરો કોળી સમાજના યુવા આગેવાનો દ્વારા ઠેર-ઠેર લગાવવામાં આવ્યા છે. ત્યારે 28 જાન્યુઆરીની રાતેના શહેરના સરિતા સોસાયટી વિસ્તારમાં બાઈકમાં સવાર કોઈ બે વ્યક્તિ દ્વારા બેનર ફાડતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જે સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ ઘટનાને પગલે કોળી સમાજમાં રોષ જોવા મળ્યો છે. આજની મિટિંગમાં નિર્ણય કરીશુંઃ કિશન મેરઆ અંગે કોળી સમાજના યુવા આગેવાન કિશન મેરે જણાવ્યુ હતું કે, આજરોજ બપોરે સમાજની મિટિંગ મળવાની છે, તેમાં અમે નિર્ણય કરીશુ કે આ બાબતમાં શું કાર્યવાહી કરવી. ત્યારે આ સીસીટીવી ફૂટેજ કોળી સમાજના ગ્રુપમાં વાઇરલ થયા છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 12:23 pm

ગિફ્ટ સિટી પાસેના ગામમાં સતત બીજા દિવસે LCB ત્રાટકી:વિદેશી દારૂના કટીંગના પર્દાફાશ બાદ મોટું જુગારધામ પણ ઝડપી પાડ્યું, 10 જુગારીઓની 17.64 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ

ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગિફ્ટ સિટી પાસેના વલાદ ગામની સીમમાં ખુલ્લા ખેતરમાં લાઈટના અજવાળે ધમધમતા જુગારધામ પર ત્રાટકીને 10 જુગારીઓને રંગેહાથ ઝડપી લઇ અંદાજે પોણા ત્રણ લાખની રોકડ, ચાર વાહનો તેમજ નવ મોબાઇલ ફોન મળીને કુલ રૂ. 17.64 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખેતરમાં લાઈટના અજવાળે ધમધમતા જુગારધામનો પર્દાફાશગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધમધમતી અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના PI ડી. બી. વાળાની ટીમે ગઈકાલે ગિફ્ટ સિટી પાસેના વલાદ ગામમાંથી વિદેશી દારૂના કટીંગનું મોટું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું હતું. ત્યારે આજ ગામમાં LCB PSI એમ.એસ. રાણાની ટીમે મધરાતે ત્રાટકીને ખુલ્લા ખેતરમાં લાઈટના અજવાળે ધમધમતા જુગારધામનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસ દ્વારા મોડી રાત્રે ઓપરેશન હાથ ધર્યુંગાંધીનગર LCBની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વલાદ ગામના અજય વિનુજી ઠાકોર નામના શખ્સે મેંદ્રા રેલ્વે સ્ટેશન તરફ જતા રોડ પર ઘંટીવાળા વાસની સામે આવેલા ખુલ્લા ખેતરમાં બહારથી માણસો બોલાવી જુગારનો અડ્ડો શરૂ કર્યો છે. આ બાતમીના આધારે પોલીસ દ્વારા મોડી રાત્રે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જુગારીઓએ અંધારાનો લાભ લઈ નાસવાનો પ્રયાસ કર્યોપોલીસ કાફલો જ્યારે બાતમીવાળા સ્થળે ત્રાટક્યો ત્યારે ખેતરમાં લાઈટના અજવાળે કુંડાળું વળીને કેટલાક શખ્સો ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા હતા. પોલીસને આવતી જોઈ જુગારીઓએ અંધારાનો લાભ લઈ નાસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે ફિલ્મી ઢબે દોટ લગાવીને સ્થળ પરથી 10 શખ્સોને દબોચી લીધા હતા. જ્યારે એક શખસ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓપોલીસે જુગારીઓની પૂછતાછ કરતાં તેમણે પોતાના નામ પ્રગ્નેશ કરણસિંહ બિહોલા (રહે.લીંમડીવાસ, રતનપુર), લલીત કાળાજી ઠાકોર (રહે. ચકલીપુરાવાસ, વલાદ),વિશાલ બેચરજી ઠાકોર (રહે. ઘંટીવાળો વાસ, ગોરવંટાપરૂ તાબે વલાદ),બિપીનભાઇ દશરથભાઇ (રહે. પટેલવાસ, સીંગરવા ગામ, તા.દસક્રોઇ),જગદિશજી મહેશજી ઠાકોર (રહે. ઘંટીવાળો વાસ, ગોરવંટા પરૂ તાબે વલાદ ),તુષાર જગદિશભાઇ ઠાકોર (રહે. મહેંદીકુવા, ઠાકોરવાસ, શાહપુર), ભક્તિભાઇ બળદેવભાઇ વ્યાસ(રહે .२३. વ્યાસવાળો, વલાદ),અમરતજી ચેહરાજી ઠાકોર (રહે. જોગણી માતાનો વાસ, કડાદરા) ,ગીરીશકુમાર ફકીરજી ઠાકોર (રહે. નવઘરી વાસ, વજાપુરા) તેમજ કિશન બીપીનભાઇ પટેલ (રહે. પટેલવાસ, વલાદ) હોવાનું કહ્યું હતું, જ્યારે અજય વિનુજી ઠાકુર નાસી ગયો હોવાની કબૂલાત કરી હતી. 17.64 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વોન્ટેડ આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યાજેના પગલે LCBએ ડભોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી જુગારીઓ પાસેથી અંદાજે પોણા ત્રણ લાખની રોકડ, નવ મોબાઇલ, ચાર વાહનો, ગંજીપાના સહિત કુલ રૂ.17.64 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વોન્ટેડ આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 12:09 pm

BVM એન્જિનિયરિંગમાં સાયબર સિક્યુરિટી સેન્ટર શરૂ:₹1.5 કરોડના ખર્ચે સોફોસના સહયોગથી વિદ્યાર્થીઓને વૈશ્વિક તાલીમ

આણંદના બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય (BVM) માં ₹1.5 કરોડના ખર્ચે 'સાયબર સિક્યુરિટી સેન્ટર ઓફ એક્સેલન્સ' શરૂ કરવામાં આવ્યું છે. ચારુતર વિદ્યામંડળ સંચાલિત આ કોલેજમાં વૈશ્વિક સાયબર સિક્યુરિટી કંપની સોફોસના CSR પહેલ હેઠળ આ કેન્દ્રની સ્થાપના થઈ છે. આ સેન્ટર BVM સહિત આસપાસની સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને સાયબર સુરક્ષા ક્ષેત્રે તાલીમ આપશે. આ સેન્ટર અદ્યતન હાર્ડવેર, મોર્ડન કમ્પ્યુટિંગ સુવિધાઓ, સ્માર્ટ બોર્ડ અને લાયસન્સ ધરાવતા સોફોસ સોફ્ટવેરથી સજ્જ છે. સોફોસના નિષ્ણાત ટ્રેનર્સ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને સીધી તાલીમ આપશે. વિદ્યાર્થીઓ ફાયરવોલ સિક્યુરિટી, થ્રેટ પ્રોટેક્શન, નેટવર્ક કન્ફિગરેશન અને ઇન્સિડન્ટ રિસ્પોન્સ જેવા વાસ્તવિક પડકારો પર પ્રેક્ટિકલ અનુભવ મેળવી શકશે. તાલીમ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને સોફોસ પ્રમાણિત સર્ટિફિકેટ્સ મળશે, જે તેમને ઇન્ટર્નશિપ અને નોકરીની તકો માટે મદદરૂપ થશે. આ પહેલથી વિદ્યાર્થીઓ 'ઇન્ડસ્ટ્રી રેડી' એન્જિનિયર્સ બની શકશે, તેમ આઈટી વિભાગના વડા ડૉ. કેયુર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું. કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ ભીખુભાઈ પટેલ, ઉપપ્રમુખ મનીષભાઈ પટેલ, માનદ મંત્રી એસ.જી.પટેલ, માનદ સહમંત્રી મેહુલ પટેલ, માનદ સહમંત્રી વિશાલભાઈ પટેલ, સી.વી.એમ યુનિવર્સીટીના પ્રોવોસ્ટ પ્રો. ડૉ. ઈંદ્રજિત એન. પટેલ, સોફોસના ડાયરેક્ટર સુનીલ રાઠોડ, બીવીએમના પ્રિન્સિપાલ ડૉ. વિનય જે. પટેલ અને આઈટી વિભાગના વડા ડૉ. કેયુર બ્રહ્મભટ્ટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આઈટી ડિપાર્ટમેન્ટ દ્વારા ભગવાન સત્યનારાયણની કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બીવીએમના પ્રિન્સિપાલ ડૉ. વિનય જે. પટેલે આ અંગે જણાવ્યું હતું કે, આ સેન્ટર શૈક્ષણિક શિક્ષણ અને ઉદ્યોગની જરૂરિયાતો વચ્ચેના અંતરને દૂર કરશે, જેનાથી ઉદ્યોગ માટે તૈયાર એન્જિનિયર્સ તૈયાર થશે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 12:05 pm

રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશન માટે તંત્ર મક્કમ:400 કરોડની સરકારી જગ્યા ખાલી કરાવવા 1358 મિલકત ધારકોને હવે વધુ સમય નહીં અપાય; રેવન્યુ ઓફિસર્સ ડાયરીમાં રહેશે દબાણની નોંધ

રાજકોટના જંગલેશ્વરમાં રૂ. 400 કરોડની સરકારી જમીન પર ખડકાયેલી 1358 મિલકત ધારકોને ડિમોલીશનની આખરી નોટિસ ટોક ઓફ ધ ટાઉન બની છે. સ્થાનિકોની વ્હારે કોંગ્રેસ સભા ગજવી ચૂક્યું છે. અહીં રહેતા 15000 જેટલા લોકો બેઘર થવાના હોવાથી દબાણ દૂર કરવા સમય આપવાની સાથે વૈકલ્પિક જગ્યા સ્વરૂપે આવાસ ફાળવવાની માંગણી કરવામાં આવી છે. જોકે આજે કલેક્ટરે વધારાનો સમય આપવાની માંગણીને ફગાવી દીધી છે કારણકે દબાણકર્તાઓને સાંભળવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો. જેથી હવે ડિમોલિશન થશે તે નક્કી છે. આ સાથે જ હવે રાજકોટ જિલ્લામાં સરકારી કે ગૌચરની જમીન પરના દબાણની રેવન્યુ ઓફિસર્સ ડાયરીમાં નોંધ રહેશે અને તે મૂજબ સરકારી જગ્યાઓ ખાલી કરાવવામાં આવશે. ‘આધાર પુરાવાઓ રજૂ કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો’રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની જેટલી પણ જમીન છે તે ખાલી કરાવવા માટે વહીવટી તંત્ર કાર્યવાહી કરતું હોય છે. રાજકોટના જંગલેશ્વરમાં દબાણકર્તાઓને લીગલી સાંભળવામાં આવેલા છે. દરેક દબાણકર્તાઓને ત્રણ વખત સાંભળવામાં આવેલા છે અને આધાર પુરાવાઓ રજૂ કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો છે. તમામ પુરાવાઓનું એક્ઝામિનેશન કર્યા બાદ ડિમોલિશન માટે 202ની નોટિસ આપવામાં આવી છે. આગામી સમયમાં હવે ડિમોલિશનની તારીખ નક્કી કરવામાં આવશેજંગલેશ્વરના 1358 મિલકત ધારકોને દબાણ હટાવવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો જેથી હવે વધારાનો સમય આપવાની કોઈ વાત રહેતી નથી. અમારા મુજબ વહીવટી તંત્ર દ્વારા લીગલ પ્રક્રિયા કરવામાં આવી છે. દરેક દબાણ કરનારાઓને વાંધા અરજી રજૂ કરવા અને પુરાવાઓ રજૂ કરવા માટે તક આપવામાં આવતી હોય છે તેની લીગલ પ્રક્રિયા ચાલી રહી છે અને આગામી સમયમાં હવે ડિમોલિશનની તારીખ નક્કી કરવામાં આવશે. રેવન્યુ ઓફિસર્સ ડાયરીમાં તમામ સરકારી દબાણની નોંધ રહેશેઆ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના દરેક તાલુકાઓમાં સરકારી જમીન ઉપરથી દબાણ હટાવવા માટે નોટિસો આપવાની પ્રક્રિયા ચાલી રહી છે અને દબાણ હટાવવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં રેવન્યુ ઓફિસર્સ ડાયરીમાં કઈ ગૌચરની અને સરકારી ખરાબાની જગ્યા પર દબાણ છે તે ઓટોમેટીક આઇડેન્ટીફાઈ થશે અને ત્યારબાદ દબાણ હટાવવા માટેની કામગીરી કરવામાં આવશે. 202 મુજબ આખરી નોટિસ અપાતા સ્થાનિકોમાં ભારે આક્રોશનોંધનીય છે કે, રાજકોટના જંગલેશ્વરમાં આજી રિવરફ્રન્ટ અને આજી રી-ડેવલોપમેન્ટ માટે જંગલેશ્વરમાં રૂ. 400 કરોડની જગ્યા પર ખડકાયેલી 1358 મિલકતો પરથી દબાણ દૂર કરવા માટે કલમ 61 મુજબ ત્રણ વખત નોટિસ આપી હિયરિંગ રાખવામાં આવ્યું હતું. જે બાદ હવે કલમ 202 મુજબ આખરી નોટિસ આપવામાં આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે અને તેમના દ્વારા વહીવટી તંત્ર સમક્ષ દબાણ દૂર કરવા માટે થોડો સમય આપવાની માંગણી કરવામાં આવી છે. સાથે વૈકલ્પિક જગ્યા સ્વરૂપે સરકારી આવાસ ફાળવવા પણ માંગણી કરાઈ છે. જોકે વહીવટી તંત્ર હવે ડિમોલીશન માટે મક્કમ છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 12:02 pm

સોલા સિવિલમાં સ્ટાફના ગેરવર્તનથી દર્દી ચાલુ સારવારે હોસ્પિટલ છોડવા મજબૂર:કહ્યું-લીવરની ગંભીર બીમારી છતાં સ્ટ્રેચર ખેંચાવી, ચાદર બદલવાનું કામ નર્સે કરાવ્યું; મને કઈ થશે તો જવાબદારી સિવિલ-રિંકુબેનની રહેશે

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ગંભીર બેદરકારી અને સ્ટાફના દર્દી સાથે ખરાબ વર્તનના કારણે વિવાદમાં આવી છે. 27 જાન્યુઆરીને મંગળવારે સાંજે લીવર સિરોસિસથી પીડાતા રાજકુમાર ઠાકર નામના વ્યક્તિને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ આવ્યા હતા. પેટમાંથી પાણી કાઢવાની સારવાર માટે ચોથા માળે દાખલ કરવામાં આવ્યા બાદ ગંભીર હાલતમાં હોવા છતાં તેમને જાતે જ સ્ટ્રેચર ખેંચીને વોર્ડ સુધી જવું પડ્યું હોવાનો આરોપ છે. અગાઉ પણ સોલા સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચર જાતે ખેંચીને જતા દર્દીઓનો મુદ્દો ગંભીર બન્યો હતો. દર્દીઓને સ્ટ્રેચર વગેરે જાતે ખેંચીને લઈ જવું પડી રહ્યું હતું. આટલું જ નહીં, વોર્ડમાં હાજર નર્સ ધારા દ્વારા દર્દી સાથે તોછડું વર્તન કરાયું હોવાની પણ ફરિયાદ સામે આવી છે. દર્દીને પોતે જ ચાદર બદલવા, ઈન્જેક્શન પકડવા જેવી ફરજ પાડવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. ઠંડી લાગતી હોવા છતાં હોસ્પિટલ તરફથી ચાદર કે તકિયા જેવી મૂળભૂત સુવિધા પણ આપવામાં આવી નહોતી. મને કઈ થશે તો જવાબદારી સોલા સિવિલ અને રિંકુબેનની રહેશેઃ દર્દીઆ મામલે દર્દી રાજકુમાર ઠાકરે જણાવ્યું હતું કે, હવે મને જે કંઈ પણ થશે તેની સંપૂર્ણ જવાબદારી સોલા સિવિલ તંત્રની રહેશે. હું બોટાદ ગામમાં રહું છું અને મને લીવરની સિરોસિસની તકલીફ છે. હું પાણી કઢાવવા માટે સોલા સિવિલની અંદર આવ્યો હતો. પાણી કઢાવવા બાબતમાં મને નીચેથી એડમિટ કરવા માટે ઉપર કીધું કે, ચોથા માળે તમે એડમિટ થવા જાઓ. હું ચોથે માળ એડમિટ થવા આવ્યો, ત્યાં ચોથે માળ મને રિંકુબેન મકવાણા કરીને (સ્ટાફ) મને કે, તમે ચાદર પકડો, આ કરો... ઓઢવાનું ન આપ્યું, ઓશિકા ન આપ્યા અને ખૂબ જ મારી સાથે ગેરવર્તન કર્યું છે. એટલે હું હોસ્પિટલમાંથી ચાલુ ટ્રીટમેન્ટે નીકળી ગયો છું. જો મને કોઈપણ વસ્તુ થશે તો તેની તમામ જવાબદારી સોલા સિવિલ અને રિંકુબેન મકવાણાની રહેશે. સોલા સિવિલના RMOએ જવાબ આપવાનું ટાળ્યુંહોસ્પિટલની વાસ્તવિકતા એવી છે કે, દર્દીઓને એક વિભાગથી બીજા વિભાગ અથવા એક માળેથી બીજા માળે લઈ જવાની ફરજ પરિવારજનો પર આવી રહી છે. આ મુદ્દે ઇન્ચાર્જ નર્સે જણાવ્યું કે, વોર્ડમાં માત્ર એક જ વોર્ડ બોય હાજર છે. આ અંગે, આર.એમ.ઓ. ડો. દેવાંગ શાહે કોઈ જવાબ આપ્યો નહોતો. ત્યારબાદ આસિસ્ટન્ટ આર.એમ.ઓ.એ પણ કોઈ જવાબ આપ્યો નહોતો. એક તરફ સરકારી હોસ્પિટલોમાં સારી સારવાર અપાતી હોવાનું કહેવાય છે, ત્યારે બીજી તરફ આવી બેદરકારી દર્દીઓના જીવ માટે જોખમ બની રહી છે. હવે જોવાનું રહેશે કે સોલા સિવિલ હોસ્પિટલ તંત્ર આ મામલે શું પગલાં લે છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 11:55 am

પંચમહાલના આંગણીયા ગામે યુવકને કરંટ લાગ્યો:સ્વીચ બોર્ડમાં પ્લગ નાખતાં યોગેશ સાંગોડિયા ગંભીર રીતે દાઝ્યા, હોસ્પિટલ ખસેડાયા

પંચમહાલ જિલ્લાના આંગણીયા ગામે વીજ કરંટ લાગવાથી એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. યોગેશ સાંગોડિયા નામના આ યુવકને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આંગણીયા ગામના રહેવાસી યોગેશ સાંગોડિયા પોતાના ઘરે લાઇટ ચાલુ કરવા માટે સ્વીચ બોર્ડમાં પ્લગ લગાવી રહ્યા હતા. આ દરમિયાન અચાનક વીજ વાયરમાં શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે તેમને જોરદાર કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા યોગેશભાઈ ઘટનાસ્થળે જ ફેંકાઈ ગયા હતા અને તેમના હાથ ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ઘટનાને પગલે આસપાસના લોકો અને પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 11:52 am

દિલ્હીના કર્તવ્યપથ પર ગુજરાતનો દબદબો યથાવત્:સતત ચોથા વર્ષે ‘પોપ્યુલર ચોઈસ એવોર્ડ’ જીતીને ગુજરાતના ટેબ્લોએ રચ્યો ઈતિહાસ

77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્યપથ પર યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ ફરી એકવાર પોતાની આગવી ઓળખ સાબિત કરી છે. ‘સ્વતંત્રતા કા મંત્રઃ વંદેમાતરમ’ થીમ પર આધારિત ગુજરાતના ટેબ્લોએ “પોપ્યુલર ચોઈસ એવોર્ડ” કેટેગરીમાં સતત ચોથા વર્ષે પ્રથમ સ્થાન મેળવીને ઈતિહાસ સર્જ્યો છે. અગાઉ 2023, 2024 અને 2025માં પણ ગુજરાતના ટેબ્લોએ આ શ્રેણીમાં સર્વોચ્ચ સ્થાન મેળવ્યું હતું. ગુજરાતનો ટેબ્લો 43 ટકા મત મેળવી પીપલ્સ ચોઈસ કેટેગરીમાં વિજેતાકેન્દ્ર સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા MYGov પોર્ટલ પર યોજાયેલા મતદાનમાં ગુજરાતનો ટેબ્લો પ્રથમ કલાકથી જ અગ્રેસર રહ્યો હતો અને કુલ 43 ટકા મત મેળવી પીપલ્સ ચોઈસ કેટેગરીમાં વિજેતા બન્યો હતો. ઉત્તરપ્રદેશને 9 ટકા મત સાથે દ્વિતિય સ્થાન મળ્યું હતું, જ્યારે અન્ય 15 રાજ્યો પાછળ રહ્યા હતા. વંદે માતરમ્-સ્વદેશી ચળવળથી શરૂ થઈ આત્મનિર્ભર ભારતના સંકલ્પ સુધીની યાત્રાને ટેબ્લોમાં દર્શાવાઈમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સિદ્ધિ પર આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રભક્તિ સાથે રાજ્યના સ્વાતંત્ર્યવીરોના યોગદાનને સુંદર રીતે રજૂ કરતો ગુજરાતનો ટેબ્લો લોકહૃદયમાં વિશેષ સ્થાન બનાવી શક્યો છે. વંદે માતરમ્ અને સ્વદેશી ચળવળથી શરૂ થઈ આત્મનિર્ભર ભારતના સંકલ્પ સુધીની યાત્રાને ટેબ્લોમાં અસરકારક રીતે દર્શાવવામાં આવી હતી. સતત ચોથા વર્ષે પ્રથમ સ્થાન મેળવીને ઈતિહાસ સર્જ્યોઉલ્લેખનીય છે કે, 2023માં ‘ક્લિન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત’, 2024માં ‘ધોરડો – વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ’ અને 2025માં ‘આનર્તપુરથી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસનો સંગમ’ જેવા ટેબ્લો દ્વારા ગુજરાતે પોપ્યુલર ચોઈસ એવોર્ડ પર પોતાની મજબૂત પરંપરા સ્થાપિત કરી હતી. આ પરંપરાને આગળ વધારતાં 2026માં પણ ગુજરાતે આ ગૌરવ પ્રાપ્ત કર્યું છે. 30 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં એવોર્ડ મળશેઆ પુરસ્કાર આગામી 30 જાન્યુઆરીએ નવી દિલ્હીના રાષ્ટ્રીય રંગશાળા શિબિરમાં યોજાનાર પ્રજાસત્તાક પર્વના સમાપન સમારોહમાં કેન્દ્રના રાજ્યકક્ષાના સંરક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાતને એનાયત કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 11:42 am

CISF કોસ્ટલ સાયક્લોથોન આવતીકાલે મોરબી પહોંચશે:દરિયાઈ સુરક્ષા જાગૃતિ માટે 6500 KMની યાત્રાનું આયોજન

કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) દ્વારા દેશની દરિયાઈ સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવા અને રાષ્ટ્રીય એકતા મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે CISF વંદે માતરમ્ કોસ્ટલ સાયક્લોથોન-2026 નું આયોજન કરવામાં આવ્યું છે. આ સાયકલ યાત્રા 28 જાન્યુઆરીથી શરૂ થઈ છે અને 22 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ 25 દિવસીય સાયક્લોથોન દરમિયાન, CISF ટીમો ભારતની અંદાજે 6500 કિલોમીટર લાંબી મેઈનલેન્ડ કોસ્ટલાઇન પર ભ્રમણ કરશે. પશ્ચિમ દરિયાકાંઠાની ટીમનું પ્રસ્થાન ગુજરાતના કચ્છ સ્થિત ઐતિહાસિક લખપત કિલ્લાથી કરવામાં આવ્યું છે. આ સાયકલ યાત્રા 30 જાન્યુઆરીના રોજ મોરબી જિલ્લામાં પહોંચશે. મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને રાજકોટ CISF યુનિટ દ્વારા તેમનું સ્વાગત અને અભિવાદન કરવામાં આવશે. મોરબી જિલ્લાના માળિયા તાલુકાના સરવડ ગામ ખાતે સાંજે એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ દેશવ્યાપી અભિયાનના ભાગરૂપે, CISF રાજકોટ યુનિટને મોરબી જિલ્લાના માળિયાથી જોડિયા સુધીના દરિયાકાંઠાના પટ્ટામાં સાયક્લોથોન પ્રવૃત્તિઓનું સંચાલન અને સંકલન કરવાની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 11:40 am

સાસણમાં CMએ કર્યા સિંહદર્શન: VIDEO:ખુલ્લી જીપમાં 'દાદા'એ કરી ફોટોગ્રાફી; સ્થાનિકો સાથે 'ચા'ની ચુસ્કી મારતા કહ્યું- 'આ મજા જ કંઈક અલગ છે'

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો એક અનોખો અને સાદગીભર્યો અંદાજ સાસણ ગીરમાં જોવા મળ્યો છે. જૂનાગઢના પ્રવાસે આવેલા મુખ્યમંત્રીએ વહેલી સવારે ખુલ્લી જીપમાં સવાર થઈને ગીરના જંગલોમાં સિંહદર્શનનો લહાવો લીધો હતો, જ્યાં તેઓ પ્રોફેશનલ ફોટોગ્રાફરની અદામાં સાવજોની તસવીરો ક્લિક કરતાં જોવા મળ્યા હતા. જોકે, આ મુલાકાતનું મુખ્ય આકર્ષણ તેમની સાદગી રહી. સત્તાના પ્રોટોકોલ બાજુ પર મૂકી મુખ્યમંત્રીએ સાસણની બજારમાં સ્થાનિકો સાથે બેસીને ચાની ચુસ્કી લીધી અને હળવાશના મૂડમાં કહ્યું કે, આ મજા જ કંઈક અલગ છે! વહેલી સવારે જંગલ સફારીનો અવિસ્મરણીય અનુભવગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મૃદુ અને મક્કમ છબીની સાથે તેમની સાદગીના દર્શન આજે સાસણ ગીરમાં થયા હતા. જૂનાગઢના વિકાસકાર્યોના લોકાર્પણ બાદ મુખ્યમંત્રી સાસણ પહોંચ્યા હતા, જ્યાં તેમણે કોઈ પણ પ્રોટોકોલના આડંબર વગર એક સામાન્ય નાગરિકની જેમ ગીરની ગલીઓમાં લટાર મારી સ્થાનિકોના દિલ જીતી લીધા હતા. ખુલ્લી જીપમાં 'દાદા'એ કરી ફોટોગ્રાફીમુખ્યમંત્રીએ આજે વહેલી સવારે ગીર જંગલ સફારીની મુલાકાત લીધી હતી. કેરંભા થાણા વિસ્તારમાં તેમણે નિર્ભય રીતે વિહરતા સાવજોને નિહાળ્યા હતા. સિંહદર્શન બાદ તેમણે પ્રતિભાવ આપતા કહ્યું કે, ગીરની સવાર ખરેખર અદભુત છે! તેમણે વનકર્મીઓ સાથે સંવાદ કરી સિંહ સંવર્ધનની બહુસ્તરીય કામગીરીની વિગતો મેળવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. બાંકડા પર બેસી ચા પીધી અને પાન ખાધુંમુખ્યમંત્રીની મુલાકાતનો સૌથી યાદગાર અંશ તેમની સાદગી રહ્યો. ગઈકાલે રાત્રે સિંહસદન ગેસ્ટહાઉસથી તેઓ પગપાળા જ બજારમાં નીકળી પડ્યા હતા. સ્તામાં તેઓ સ્થાનિક વેપારીઓ, હસ્તકલાના કારીગરો અને પ્રવાસીઓને મળ્યા હતા. સાસણના સરપંચ અને પૂર્વ સરપંચ સાથે મુલાકાત થતાં મુખ્યમંત્રીએ સહજતાથી કહ્યું, ચલો ચા પીવડાવો. એક સામાન્ય ચાના ગલ્લા પર બાંકડા પર બેસીને તેમણે ચા પીધી હતી અને પાનનો આનંદ પણ માણ્યો હતો. તેમણે ગીરની પ્રખ્યાત કેરીની પ્રોડક્ટ્સ અને સિંહની પ્રતિકૃતિ જેવી હસ્તકલાની વસ્તુઓ વેચતા વેપારીઓને મળીને 'વોકલ ફોર લોકલ'ના મંત્રને પ્રોત્સાહન આપ્યું હતું. ગીરમાં પ્રવાસન અને વિકાસની ચર્ચામુલાકાત દરમિયાન સ્થાનિક આગેવાનોએ મુખ્યમંત્રીને પ્રવાસન વધારવા માટેના સૂચનો પણ આપ્યા હતા. વર્ષ 2025ની ગણતરી મુજબ ગીર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સિંહોની સંખ્યા 891 પર પહોંચી છે. ત્યારે પૂર્વ સરપંચે હિરણ નદીમાં બોટિંગ અને નાઈટ ટ્રેકિંગ જેવી પ્રવૃત્તિઓ શરૂ કરવા સૂચન કર્યું, જેને મુખ્યમંત્રીએ હકારાત્મક રીતે સાંભળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને 'પ્રોજેક્ટ લાયન'ને કારણે ગીરમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો છે, જેનાથી સ્થાનિક રોજગારીમાં મોટો ઉછાળો આવ્યો છે. મુખ્યમંત્રીની સરળતા, મૃદુતા અને નિખાલસતા સાસણના લોકો અને પ્રવાસીઓના હૃદયને સ્પર્શી ગઈ. એક રાજ્યના વડા હોવા છતાં સામાન્ય લોકો વચ્ચે બેસીને તેમની સમસ્યાઓ અને રાજીપો જાણવાની તેમની શૈલીની ગીરવાસીઓ પ્રશંસા કરી રહ્યા છે. સાસણગીરમાં મુખ્યમંત્રીએ વનકર્મીઓ માટે 183 ખાસ વાહનને ફ્લેગ ઓફ કરાવ્યુંવનસંપદા અને વન્ય જીવ સૃષ્ટિથી સમૃદ્ધ ગુજરાતમાં વન્ય પ્રાણી સંરક્ષણ, સંવર્ધન અને રેસ્ક્યૂ કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાસણગીર ખાતેથી 183 અત્યાધુનિક વાહનને ફ્લેગ ઓફ કરાવ્યું હતું. વન વિભાગ દ્વારા વિવિધ પ્રોજેક્ટ્સ અંતર્ગત 174 ફિલ્ડ બાઈક, 6 બોલેર કેમ્પર અને 3 ખાસ મોડીફાઇડ રેસ્ક્યૂ વ્હીકલ્સની ફાળવણી કરવામાં આવી છે. આ વાહનો ગીર, બૃહદ ગીર સહિત સમગ્ર 'લાયન લેન્ડસ્કેપ' અને રાજ્યના અન્ય વન વિસ્તારોમાં ફરજ બજાવતા વનકર્મીઓને પેટ્રોલિંગ અને પ્રોટેક્શનની કામગીરીમાં વધુ સક્ષમ બનાવશે. વાહનોના લોકાર્પણ સમયે વન પર્યાવરણ અગ્ર સચિવ ડૉ. વિનોદ રાવ અને અગ્ર મુખ્ય વન સંરક્ષક ડૉ. જયપાલસિંહ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ સુવિધાઓથી સજ્જ આ નવા વાહનો મળવાથી હવે ફિલ્ડ સ્ટાફ વન્યજીવોના સંરક્ષણ અને ઇમરજન્સી રેસ્ક્યુ કામગીરી વધુ ઝડપથી અને અસરકારક રીતે કરી શકશે. ધાવા ગીર ખાતે મિત્રના પુત્રના લગ્નપ્રસંગે હાજરી આપવા આવ્યા હતાઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી તાલાલાના ધાવા ગીર ખાતે મિત્રના પુત્રના લગ્નપ્રસંગે હાજરી આપવા આવ્યા હતા, જેના ભાગરૂપે તેમણે સાસણમાં રાત્રી રોકાણ કરી વન વિભાગની કામગીરીની સમીક્ષા અને જનસંપર્ક સાધ્યો હતો. સવારે 10:30 કલાકે તેઓ ભાલછેલ હેલીપેડથી ગાંધીનગર જવા રવાના થયા હતા.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 11:33 am

વેમેડ કોલેજે ભારતીય જ્ઞાન પ્રણાલી પર FDP યોજ્યો:વિદ્યાર્થીઓને વારસા આધારિત શિક્ષણ જરૂરી: પ્રો. ઇન્દ્રજિત પટેલ

ચારુતર વિદ્યામંડળ (CVM) યુનિવર્સિટી સંચાલિત વેમેડ કોલેજ ઓફ એજ્યુકેશન દ્વારા ભારતીય જ્ઞાન પ્રણાલી: પ્રથાઓ અને સમકાલીન શૈક્ષણિક વિનિયોગ (IKS) વિષય પર એક ઓનલાઇન નેશનલ લેવલ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ (FDP)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલનો ઉદ્દેશ આધુનિક શિક્ષણ અને પ્રાચીન ભારતીય પરંપરાઓનો સમન્વય કરવાનો હતો. આ કાર્યક્રમમાં સીવીએમ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. ડૉ. ઇન્દ્રજિત પટેલે નવી શિક્ષણ નીતિ (NEP 2020) પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, ભારતીય જ્ઞાન પ્રણાલીનું શિક્ષણમાં એકીકરણ અનિવાર્ય છે. આ FDPમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી 70થી વધુ પ્રોફેસરો અને શિક્ષણશાસ્ત્રીઓએ ભાગ લીધો હતો. દેશની ટોચની યુનિવર્સિટીઓના 9 વિષય નિષ્ણાતોએ ઓનલાઇન માધ્યમથી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મુખ્ય અતિથિ તરીકે પ્રો. (ડૉ.) ઇન્દ્રજીત પટેલે પોતાના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું કે, ભારતનો વારસો અને મૂલ્યો જ વિદ્યાર્થીઓને સર્વગ્રાહી શિક્ષણ આપી શકે છે. તેમણે NEP 2020 મુજબ વિદ્યાર્થીઓને તેમના મૂળ સાથે જોડવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. આ FDP દ્વારા અધ્યાપકોને વર્ગખંડમાં પ્રાચીન જ્ઞાનને આધુનિક શિક્ષણ પદ્ધતિઓ સાથે કેવી રીતે વણી શકાય તે શીખવવામાં આવ્યું હતું. આ પાંચ દિવસીય કાર્યક્રમમાં સાવિત્રીબાઈ ફુલે પુણે યુનિવર્સિટી, MSU, IITE, ગુજરાત યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના ડૉ. વૈભવ જાદવ અને ડૉ. કપિલદેવ શાસ્ત્રી સહિત 9 જેટલા વિદ્વાનોએ વ્યાખ્યાનો આપ્યા હતા. CVMના ચેરમેન ભીખુભાઈ પટેલ અને અન્ય હોદ્દેદારોના માર્ગદર્શન હેઠળ આ આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. રજિસ્ટ્રાર પ્રો. (ડૉ.) સંદીપ વાલિયા અને વેમેડ કોલેજની ટીમે કાર્યક્રમમાં સહભાગી થયેલા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 11:31 am

ડ્રેનેજ કામગીરીને લઈ ડાયવર્ઝન:ગોત્રી, કલાલી અને વાસણા વિસ્તારના રસ્તાના ડાયવર્ઝન અંગે નોટિફિકેશન, જાણો કયા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકાશે

વડોદરા શહેરના પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારમાં ડ્રેનેજ નેટવર્કની નવી લાઈન નાખવા તેમજ મશીનહોલના સમારકામની કામગીરીને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. શહેરના ગોત્રી, કલાલી અને વાસણા વિસ્તારના રસ્તાના ડાયવર્ઝન અંગે નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. જેમાં વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે . રસ્તા પર નવી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવીમ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, ગોત્રી વિસ્તારમાં ડ્રેનેજ લાઈનની કામગીરી શરૂ કરવામાં આવશે. જેથી ગોત્રી પાણીની ટાંકીથી પ્રિયા સિનેમા તરફના રસ્તા પર નવી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના કારણે ગોત્રી ટાંકીથી પ્રિયા સિનેમા તરફ જતો ડાબી બાજુનો કેરેજ વે, ગોકુળનગરથી જનકપુરી સોસાયટી થઈ ગાયત્રીનગર APS સુધીનો રસ્તો અને પ્રિન્સ વિલાથી ગોત્રી ટાંકી તરફનો રસ્તો બંધ રહેશે. આ કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી આ રસ્તાઓ તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે. સર્વિસ રોડનો ડાબી બાજુનો કેરેજ વે અંદાજે 20 દિવસ સુધી બંધઆ સાથે શહેરના કલાલી બ્રિજ સર્વિસ રોડ પર સમારકામની કામગીરી કરવાની હોવાથી ખિસકોલી સર્કલ પાસે મારૂતિ સુઝુકી અને મર્સિડીઝ કારના શો-રૂમ પાસે હયાત ડ્રેનેજ લાઈનના મશીનહોલમાં પડેલા ભંગાણના સમારકામ અને નવા મશીનહોલ બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. જેના કારણે ખિસકોલી સર્કલ મારૂતિ શો-રૂમથી મર્સિડીઝ શો-રૂમ સુધીના કલાલી બ્રિજના સર્વિસ રોડનો ડાબી બાજુનો કેરેજ વે અંદાજે 20 દિવસ સુધી બંધ રાખવામાં આવશે. નવી ડ્રેનેજ નેટવર્ક નાખવાની કામગીરીને કારણે રસ્તો બંધવાસણા સિંધી માર્કેટથી સ્વામિનારાયણ મંદિર સુધી નવી ડ્રેનેજ નેટવર્ક નાખવાની કામગીરીને કારણે રસ્તો બંધ કરાયો છે. આ કામગીરી માત્ર સ્વામિનારાયણ મંદિર પાસેના ડિવાઈડરથી સિંધી માર્કેટ વાળો રસ્તો તબક્કાવાર બંધ રહેશે. આ કામગીરી માટે આ રોડ આગામી 18 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 11:29 am

પાટણ: રેલવે ગરનાળા પાસે ટ્રેન નીચે અજાણ્યાનું મોત:પાટણ સ્ટેશનથી નીકળેલી ટ્રેનની અડફેટે આવતા ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો, પોલીસ તપાસ

પાટણ શહેરના રેલવે ગરનાળા પાસે ટ્રેન નીચે આવી જતાં એક અજાણ્યા વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પાટણ રેલવે સ્ટેશનથી નીકળેલી ટ્રેનની અડફેટે આવતા આ બનાવ બન્યો હતો, જેને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકની ઓળખ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના પાટણ રેલવે સ્ટેશન નજીક આવેલા રેલવે ગરનાળા પાસે બની હતી. પાટણ સ્ટેશનથી ટ્રેન રવાના થઈ રહી હતી તે સમયે કોઈ અજાણ્યો વ્યક્તિ અચાનક રેલવે ટ્રેક પર આવી ગયો હતો. ટ્રેનની અડફેટે આવતા તેનું શરીર કપાઈ ગયું હતું અને ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ થઈ શકી નથી કે તે ક્યાંનો રહેવાસી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના અકસ્માત છે કે આત્મહત્યા, તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતકની ઓળખ કરવા માટે આસપાસના વિસ્તારમાં પૂછપરછ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 11:21 am

ધ્રોલમાં પાંચ વર્ષની બાળકીનું અપહરણ:શ્રમિકની પુત્રીને પાડોશી મોટરસાયકલ પર ઉપાડી ગયો

જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં પાંચ વર્ષની બાળકી તારિકાનું અપહરણ થયું છે. આ અંગે ખેતમજૂરી કરતા પરપ્રાંતિય શ્રમિક માંગુભાઈ સુંદરિયાભાઈ પચાયાએ ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, બાળકીના અપહરણનો આરોપ પાડોશમાં જ કામ કરતા કાજુ હટુ બૂંદેલીયા અને તેના એક અજાણ્યા સાથી પર મૂકવામાં આવ્યો છે. પોલીસને આપેલી જાણકારી અનુસાર, માંગુભાઈ અને તેમની પત્ની વાડીની ઓરડીમાં ભોજન કરી રહ્યા હતા. તે સમયે તેમની પાંચ વર્ષની પુત્રી બહાર રમી રહી હતી. આ તકનો લાભ લઈ, પાડોશની વાડીમાં કામ કરતો કાજુ હટુ બૂંદેલીયા બાળકીને મોટરસાયકલ પર બેસાડીને એક અજાણ્યા શખ્સ સાથે ભાગી ગયો હતો.આ ઘટના અંગે ધ્રોલ પોલીસ મથકમાં અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો છે. ધ્રોલના પીઆઈ એચ.વી. રાઠોડ આ કેસની તપાસ ચલાવી રહ્યા છે. ગુમ થયેલી બાળકી અને અપહરણ કરનારા આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 29 Jan 2026 11:16 am