SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

31    C
... ...View News by News Source

નાગા સાધુ તલવાર લઇ દોડ્યા:જૂનાગઢના મેળામાં અફરાતફરી, નશેડી નેક્સનવાળાને મહિલાએ ફડાકો માર્યો, હેલિકોપ્ટરમાં જાન આવતા આખું ગામ જોવા ઉમટ્યું

પૂર્ણેશ મોદી v/s શૈલેષ પરમાર 16 ફેબ્રુઆરીએ યોજાનારી વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણીમાં હવે ખરાખરીની ટક્કર જામશે....ભાજપમાંથી પૂર્ણેશ મોદી જ્યારે કૉંગ્રેસ પક્ષમાંથી શૈલેષ પરમારને મેદાને ઉતારવામાં આવ્યા છે... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચિરાગ ગોટી મુદ્દે ભાજપના બે નેતાઓ સામસામે સુરતમાં ચિરાગ ગોટીની ધરપકડ વચ્ચે ભાજપના બે નેતાઓ સામસામે...નંદલાલ પાંડવે વિનુભાઈના નિવેદનને ટાંકી કહ્યું... જો વિસ્તારમાં કોઈ ગેંગ સક્રિય નથી, તો ચિરાગ ગોટી જેવા તત્વો આટલી હદે નિર્દોષને કઈ રીતે હેરાન કરી રહ્યા છે....તો વળતો જવાબ આપતા મોરડિયાએ કહ્યું નકારાત્મકતા ફેલાવતા આવા નેતાઓ સામે પક્ષે પગલાં લેવા જોઈએ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દેશવ્યાપી 400 કરોડનું સાયબર કાંડ રાજકોટ પોલીસના ઓપરેશન મ્યુલ હંટમાં દેશવ્યાપી 400 કરોડના સાયબર ફ્રોડનો ખુલાસો...આરોપીઓએ ગોંડલના માર્કેટિંગ યાર્ડની પેઢીના એકાઉન્ટ ભાડે આપી કરોડાના વ્યવહારો કર્યા.....પોલીસે કુલ 6ની ધરપકડ કરી, 4 શોધખોળ શરૂ..... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભક્તિના પ્રવાહ વચ્ચે સાધુનું હિંસક વર્તન ભવનાથના મિનિકુંભમાં ભક્તિના પ્રવાહ વચ્ચે સાધુનું હિંસક વર્તન...ખુલ્લી તલવારથી શ્રદ્ધાળુને દોડાવ્યા, સૂતેલા લોકોને માર માર્યો અને કપિરાજથી પણ હુમલો કરાવી બચકાં ભરાવ્યા...દહેશત વચ્ચે પોલીસે સાધુની અટકાયત કરી... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કીટલીવાળા પર 2 રાઉન્ડ ફાયરિંગ અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં ચાની કીટલી પર બેસવાની ના પાડતા 3 શખ્સોએ કીટલીવાળાના પગમાં ગોળી ધરબી...ઇજાગ્રસ્તના મિત્રએ કહ્યું આરોપીઓ ગાંજો વેચાતા હતા જેથી મુદ્દસરે તેમને અટકાવ્યા હતા...ચોકીથી 500 મીટર દૂર જ 2 રાઉન્ડ ફાયરિંગ થતા કામગીરી પર સવાલ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નશામાં ધૂત ચાલકને મહિલાએ ફડાકો ઝીંક્યો ગાંધીનગરમાં નશામાં ધૂત કારચાલક કાળ બની i-20 કારમાં બેઠેલા પરિવાર પર ત્રાટક્યો....ભયાનક ટક્કરથી દૂર ફંગોળાયેલી કારમાંથી રડતા બાળકને કાખમાં લઈ ઉતરેલી મહિલાએ નશાખોર કારચાલકને સણસણતો તમાચો ઝીંક્યો.... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સુરેન્દ્રનગર પંથકમાં રાજ્યપાલનો ગ્રામ્ય પ્રેમ સુરેન્દ્રનગર પંથકની મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો ગ્રામ્ય પ્રેમ જોવા મળ્યો..ખેતરમાં હળ ચલાવ્યું, ખેડૂતોના ઘરે ગાય દોહી તો....જમીન પર બેસી કાઠિયાવાડી ભોજનનો પણ સ્વાદ માણ્યો... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો યુનિ.નું બોટનિકલ ગાર્ડન બન્યું રિસર્ચ સેન્ટર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું બોટનિકલ ગાર્ડન વિદ્યાર્થીઓ માટે રિસર્ચનું કેન્દ્ર બન્યું...5 એકરમાં પ્રાકૃતિક ખેતી અને 20 પ્રકારના મેડિસનલ પ્લાન્ટનું વેવાતેર...આગામી સમયમાં અહીં ઓર્નામેન્ટલ ફિશિઝનો કોર્સ પણ શરૂ થશે... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઓલવાણમાં લાડો હેલિકોપ્ટરમાં પરણવા આવ્યો ઉનાના ઓલવાણમાં વરરાજા હેલિકોપ્ટરમાં પરણવા આવ્યા....તળાજાથી આવેલા વરરાજાની હેલિકોપ્ટરથી એન્ટ્રી જોવા ગ્રામજનોના ટોળેટોળા ઉમટ્યા....ખેતરમાં લેન્ડિંગ બાદ લાડાનું ભવ્ય સ્વાગત થયું.... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઉનાળાની એન્ટ્રી પહેલા પારો 30 ડિગ્રીને પાર ઉનાળાની સત્તાવાર એન્ટ્રી પહેલા જ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો 30 ડિગ્રીને પાર પહોંચ્યો....સુરતમાં 35.8, રાજકોટમાં 35.1, વડોદરામાં 34.4 જ્યારે અમદાવાદ 32.7 ડિગ્રી સેલ્સિયસ સુધી તપ્યું...

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 5:55 pm

ડોળાસા મારામારીના ગુનામાં મુખ્ય આરોપી નિલય સામે વધુ એક કેસ:સ્કોર્પિયો કાર પર 'MLA GUJARAT' લખેલું બોર્ડ લગાવ્યું, પોલીસે કાર જપ્ત કરી

ગીર સોમનાથ જિલ્લાના ડોળાસા નજીક મારામારીના ગુનામાં મુખ્ય આરોપી નિલય ઉર્ફે ભુરો રામભાઈ વાળા (ઉના) સામે વધુ એક ગુનો નોંધાયો છે. આરોપી પોતાની સ્કોર્પિયો કાર (રજી.નં. GJ-32-AA-5680) પર MLA GUJARAT લખેલું ખોટું બોર્ડ લગાવી રોફ જમાવતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ ઘટના 11 ફેબ્રુઆરી, 2026ની રાત્રે ડોળાસા ગામે બની હતી. ફરિયાદી દિલીપભાઈ જેઠાભાઈ મોરી (ઉં.વ. 46) મોટરસાયકલ પસાર કરવા બાબતે આરોપી અને તેના સાગરિતોએ મારામારી કરી હતી. આ અંગે કોડીનાર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 118(1), 115(2), 351(3), 54 તથા જી.પી.એક્ટ-135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ સબ-ઇન્સ્પેક્ટર જી.એન. કાછડ દ્વારા ઘટનાસ્થળનું પંચનામું, સાક્ષીઓના નિવેદનો અને ટોલ નાકાના CCTV ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આરોપીની સ્કોર્પિયો કારમાંથી MLA GUJARAT લખેલું બોર્ડ જપ્ત કરવામાં આવ્યું હતું. આરોપી કોઈ ધારાસભ્ય કે સરકારી હોદ્દેદાર ન હોવા છતાં ખોટો હોદ્દો દર્શાવી લોકોને ભ્રમિત કરતો હોવાનું સામે આવ્યું હતું. આથી, તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 204 મુજબ અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આશરે 5 લાખ રૂપિયાની કિંમતની સ્કોર્પિયો કાર જપ્ત કરી છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ લાંબો છે, જેમાં ઉના અને અમરેલી ખાતે મારામારી, ધમકી અને પ્રોહીબીશન સંબંધિત અનેક ગુનાઓ નોંધાયેલા છે. જિલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજાએ જાહેર જનતાને ચેતવણી આપી છે કે, કેન્દ્ર કે રાજ્ય સરકારના પદાધિકારીઓના બોર્ડ, નિશાની કે નામનો ખોટો ઉપયોગ કરનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 5:53 pm

માયાભાઈના પુત્રનું વધુ એક કારસ્તાન, બસ લઈ ભવનાથ તળેટીમાં પહોંચ્યો:જ્યાં મંત્રી-IAS ચાલીને જાય છે ત્યાં જેલમાંથી છૂટેલો જયરાજ બસ લઈને આવ્યો, કલેક્ટરે આપ્યા તપાસના આદેશ

ગિરનારની ગોદમાં ચાલી રહેલા શિવરાત્રીના મીની કુંભ મેળામાં વહીવટી તંત્ર દ્વારા આ વર્ષે VVIP કલ્ચરને દેશવટો આપવાના કડક દાવા કરવામાં આવ્યા હતાં. જોકે, જાણીતા લોક સાહિત્યકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિરે આ તમામ નિયમોના લીરેલીરા ઉડાડ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. લાખો ભાવિકો જ્યારે કિલોમીટરો સુધી પગપાળા ચાલીને મહાદેવના શરણમાં જઈ રહ્યા છે, ત્યારે જયરાજ આહિર પોતાના મિત્રો સાથે ખાનગી બસમાં સવાર થઈને છેક ભવનાથ તળેટીમાં પહોંચતા ભારે વિવાદ સર્જાયો છે. જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસીયાએે તપાસના આદેશ આપ્યા. ​આ વર્ષે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા મેળામાં ટ્રાફિક ન સર્જાય અને ભાવિકો શાંતિથી મેળો માણી શકે તે માટે અભૂતપૂર્વ નિર્ણય લેવાયો હતો. જેમાં કોઈપણ ખાનગી વાહન કે બાઈકને મેળાના ક્ષેત્રમાં પ્રવેશની મનાઈ છે. દર વર્ષે પોલીસ તંત્ર દ્વારા વાહનો માટે જે 'પ્રવેશ પાસ' ઇસ્યુ કરવામાં આવતા હતા, તેના પર પણ આ વર્ષે સંપૂર્ણ નિયંત્રણ લાદવામાં આવ્યું છે. માત્ર મેળાની ફરજ પરના કર્મચારીઓ સમયસર પહોંચી શકે તે માટે ગિરનાર દરવાજાથી જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ સુધી ખાસ પ્રાઇવેટ ટ્રાવેલર્સની બસો મુકાઈ છે, જેથી કર્મચારીઓ શિફ્ટ મુજબ અવરજવર કરી શકે. ખાનગી બસ જૂના અખાડા સુધી કેવી રીતે પહોંચી ગઈ?​આટલી કડક વ્યવસ્થા હોવા છતાં, જયરાજ આહિરની ખાનગી બસ જૂના અખાડા સુધી કેવી રીતે પહોંચી ગઈ? શું રસ્તામાં આવતી પોલીસ ચેકપોસ્ટ પર કોઈએ તેમને રોકવાની હિંમત ન કરી? આ પ્રશ્નો અત્યારે જૂનાગઢમાં ચર્ચાનો વિષય બન્યા છે. ​સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ જયરાજ આહિરે પોતાના મિત્રો સાથે રાત્રિના સમયે ભવનાથમાં દર્શન કર્યા અને આ દરમિયાન તેમની ખાનગી બસ ત્યાં ઉભેલી જોવા મળી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ લોકોએ તંત્રની બેધારી નીતિ સામે રોષ ઠાલવ્યો છે. એક તરફ શ્રદ્ધાળુઓ ઉઘાડા પગે ચાલે છે અને બીજી તરફ વગદાર લોકો બસ લઈને ફરે છે, તે જોઈને ભક્તગણમાં નારાજગી જોવા મળી રહી છે. અમે તપાસના આદેશ આપી દીધા - કલેક્ટર​આ વિવાદ અંગે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસીયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ વર્ષે મેળામાં VIP કલ્ચરને કોઈ સ્થાન નથી. આ ઘટના વિશે માહિતી મળતા જ અમે તપાસના આદેશ આપી દીધા છે. કયા સંજોગોમાં અને કોની મંજૂરીથી આ ખાનગી બસ પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશી તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે અને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી થશે. ​ગિરનારની શાંતિ ડહોળવાનો પ્રયાસ ?​સ્થાનિકોનું કહેવું છે કે તંત્રએ આ વર્ષે વાહનો પર પ્રતિબંધ મૂકીને ખૂબ સારું કાર્ય કર્યું છે, જેનાથી ઘોઘાટ અને ટ્રાફિક ઓછો થયો છે. પરંતુ આવા VIP કિસ્સાઓથી શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચે છે. હવે જોવાનું એ રહે છે કે તપાસના આદેશ બાદ વહીવટી તંત્ર માયા આહિરના પુત્ર સામે કોઈ કડક પગલાં ભરે છે કે પછી મામલો થાળે પાડી દેવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 5:48 pm

ગિફ્ટ સિટીના ચેરમેન પદે ઉદય કોટકની નિમણૂક:મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર રહેલાં હસમુખ અઢિયાની જગ્યાએ કોટક જવાબદારી સંભાળશે

ગુજરાત સરકારે ગિફ્ટ સિટી તરીકે ઓળખાતી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી કંપની લિમિટેડ (GIFT City Company Ltd.)ના ચેરમેન પદ પર ઉદય કોટકની નિમણૂક કરાઈ છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા 13 ફેબ્રુઆરી, 2026ના રોજ જાહેર કરાયેલા ઠરાવ મુજબ ઉદ્યોગપતિ ઉદય સુરેશ કોટકને કંપનીના ચેરમેન તરીકે તાત્કાલિક અસરથી નિમવામાં આવ્યા છે. હસમુખ અઢિયાની જગ્યાએ ચેરમેન પદે ઉદય કોટકની નિમણૂકઅગાઉ આ પદ પર ડૉ. હસમુખ અઢિયા (IAS નિવૃત્ત), જે મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે પણ ફરજ બજાવતા હતા, તેમની નિમણૂક 19 જૂન, 2023ના ઠરાવથી કરવામાં આવી હતી. હવે સરકારના નવા નિર્ણય મુજબ તેમની જગ્યાએ ઉદય કોટકને ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સરકારી ઠરાવ મુજબ આ નિમણૂક તાત્કાલિક અસરથી અમલમાં આવશે અને આગળના આદેશ સુધી યથાવત્ રહેશે. નિમણૂકની શરતો અને નિયમો અંગેનો નિર્ણય બાદમાં જાહેર કરવામાં આવશે. ગિફ્ટ સિટી દેશનું પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર (IFSC) તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે અને વૈશ્વિક નાણાકીય હબ તરીકે તેની ઓળખ મજબૂત બની રહી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 5:40 pm

પાટણમાં આઈકોનિક રોડ પર લાખોના વૃક્ષો સુકાયા:કોર્પોરેટરે જાળવણીના અભાવે સરકારી નાણાંના વ્યયની તપાસ માંગી

પાટણ શહેરના ઊંઝા ત્રણ રસ્તાથી ડુંગરીપરા તરફના આઈકોનિક રોડ પર લાખોના ખર્ચે થયેલું વૃક્ષારોપણ સુકાઈ ગયું છે. યોગ્ય માવજત અને સિંચાઈના અભાવે આ વૃક્ષો નષ્ટ થયા છે. આ મામલે પાટણ નગરપાલિકાના કોર્પોરેટર ભરતકુમાર ભાટીયાએ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. નગરપાલિકા દ્વારા આ માર્ગને આઈકોનિક રોડ તરીકે વિકસાવવામાં આવ્યો હતો. શહેરના સૌંદર્યીકરણ અને પર્યાવરણ સંરક્ષણના હેતુથી ડિવાઈડર પર મોટા પ્રમાણમાં વૃક્ષો વાવવામાં આવ્યા હતા. જોકે, હાલ મોટાભાગના વૃક્ષો સુકાઈ જતાં પર્યાવરણના હેતુને બદલે સરકારી નાણાંનો વ્યય થયો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કોર્પોરેટર ભાટીયાએ આક્ષેપ કર્યો છે કે કોન્ટ્રાક્ટરને માત્ર નાણાં મેળવવામાં રસ હતો. વૃક્ષોની જાળવણીમાં કોન્ટ્રાક્ટર તેમજ પાલિકા તંત્ર દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવી છે, જેના કારણે વૃક્ષારોપણ માત્ર કાગળ પર જ થયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રજૂઆતમાં જણાવાયું છે કે જાહેર નાણાંનો આ પ્રકારે બિનજવાબદાર ઉપયોગ પ્રજાહિત વિરુદ્ધ છે અને તે શાસનની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા કરે છે. આ કામ સાથે સંકળાયેલા જવાબદાર અધિકારીઓ, કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર સામે શિસ્તભંગ તેમજ કાનૂની કાર્યવાહી કરવા અને સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠાવાઈ છે. વધુમાં, સુકાઈ ગયેલા વૃક્ષોના સ્થાને તાત્કાલિક નવા વૃક્ષો વાવવાની અને તેની નિયમિત દેખરેખ માટે ચોક્કસ કર્મચારીની નિમણૂક કરવાની પણ માંગ કરવામાં આવી છે. જો તંત્ર દ્વારા સત્વરે કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે, તો આગામી સમયમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી પણ અપાઈ છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 5:30 pm

દાહોદમાં બોર્ડ પરીક્ષાની તૈયારી: ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ:શિક્ષણ મંત્રીઓ વર્ચ્યુઅલી જોડાયા, કાયદો-વ્યવસ્થા જાળવવા સૂચના

સમગ્ર રાજ્યની સાથે દાહોદ જિલ્લામાં પણ આગામી તા. 26 ફેબ્રુઆરી, 2026 થી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા શરૂ થવાની છે. આ પરીક્ષાની પૂર્વ તૈયારીઓ સુનિશ્ચિત કરવા માટે રાજ્યસ્તરે એક વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેબિનેટ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને રાજ્યકક્ષા શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર જે. એમ. રાવલની ઉપસ્થિતિમાં સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પરીક્ષા સંબંધિત તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. બેઠકમાં ઝેરોક્ષ સેન્ટરોને પરીક્ષા સમયગાળા દરમિયાન બંધ રાખવા, તમામ કેન્દ્રો પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા, સંવેદનશીલ કેન્દ્રો પર SRP જવાનોની ટુકડી તૈનાત કરવા અને દરેક પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી સુવિધા કાર્યરત રહે તેની ખાતરી કરવા અંગે ચર્ચા થઈ હતી. આ ઉપરાંત, જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત રાખવા, સતત વીજ પુરવઠો ઉપલબ્ધ રહે તે માટે આયોજન કરવા અને પ્રશ્નપત્રોના સુરક્ષિત પરિવહન માટે રૂટ પોલીસ ગાર્ડની વ્યવસ્થા ગોઠવવા પર ભાર મૂકાયો હતો. ઝોનલ કચેરીઓ અને સ્ટ્રોંગરૂમ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવા સહિતની બાબતો પર પણ ખાસ ધ્યાન અપાયું હતું. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ અથવા ફરજ પરના અધિકારી-કર્મચારીઓને તાત્કાલિક આરોગ્ય સહાય મળી રહે તે માટે ફર્સ્ટ એઈડની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે બસ સુવિધા ઉપલબ્ધ કરાવવા અંગે પણ સૂચનાઓ આપવામાં આવી હતી. આંકડાકીય વિગતો અનુસાર, દાહોદ જિલ્લામાં ધોરણ 10 માટે કુલ 37 કેન્દ્રોના 121 બિલ્ડિંગના 1187 બ્લોકમાં 35,250 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 23 કેન્દ્રોના 81 બિલ્ડિંગના 835 બ્લોકમાં 24,947 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે વિજ્ઞાન પ્રવાહ માટે 3 કેન્દ્રોના 7 બિલ્ડિંગના 104 બ્લોકમાં 2,039 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે. આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી એચ. એલ. દામા, જિલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટીલાવત, નાયબ પોલીસ અધિક્ષક દાહોદ તેમજ અન્ય સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 5:22 pm

સુરતના ખ્યાતનામ બિઝનેસમેન તુષાર ઘેલાણીના મોત કેસમાં સનસની દાવાઓ:પરિવારજનોએ કહ્યું- મહિલા બ્લેકમેઈલ કરતી, મહિલાએ કહ્યું- આત્મહત્યા નહીં પણ મર્ડર છે

સુરતના ખ્યાતનામ બિલ્ડર અને બિઝનેસમેન તુષાર ઘેલાણીના મોતના 9 દિવસ બાદ સનસનીખેજ દાવાઓ સામે આવ્યા છે. તુષાર ઘેલાણીની 'અંગત મહિલા મિત્ર'એ પોલીસમાં અરજી આપી દાવો કર્યો છે કે બિઝનેસમેને આત્મહત્યા નથી કરી પણ તેમનું મર્ડર થયું છે. અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તુષારભાઈનો પરિવાર તેમનો એટીએમ મશીન તરીકે પૈસા માટે ઉપયોગ કરતો. પરિવાર તેમની કાળજી નહોતો રાખતો તથા માન-સન્માન પણ નહોતા આપતા. 'અંગત મહિલા મિત્ર'એ એવો પણ દાવો કર્યો છે કે દીકરીના લગ્ન માટે તુષારભાઈ ઘેલાણી તેની માતા પાસેથી 20 દિવસ પહેલા 25 લાખ રૂપિયા ઉછીના લઈ ગયા હતા. બીજી તરફ તુષાર ઘેલાણીના પરિવારજનોએ પણ પોલીસમાં મહિલાની વિરુદ્ધમાં અરજી કરી છે. જેમાં તેમણે તુષાર ઘેલાણીને આ મહિલા ત્રાસ આપીને ઈમોશનલ અને ફાયનાન્સિયલ બ્લેકમેઇલ કરતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સુરતના 'ઘેલાણી ગ્રુપ'ના માલિક 55 વર્ષીય તુષાર ઘેલાણીએ ગત 1 ફેબ્રુઆરીના રોજ તેમના નિવાસસ્થાને પોતાની જ લાયસન્સ વાળી રિવોલ્વર વડે પોતાના માથા પર ગોળી મારી હતી. 9 MMની ગોળી મગજને ચીરીને આરપાર નીકળી ગઈ હતી. ઘેલાણીને ગંભીર સ્થિતિમાં હોસ્પિલમાં દાખલ કરાયા હતા. જ્યાં 5 ફેબ્રુઆરીના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ જ દિવસે તેમની દીકરીના લગ્ન નક્કી કરાયા હતા. તુષાર ઘેલાણીએ લગ્નની કંકોત્રી બાબતે પરિવારજનો સાથે તકરાર થતા આત્મહત્યા કરી લીધાની વાતો સામે આવી હતી. ઘેલાણીએ આત્મહત્યા નથી કરી પણ તેનું મર્ડર થયું છેજો કે તુષાર ઘેલાણીની બારમાની વિધિ પણ પૂરી નથી થઈ ત્યાં નવા દાવાઓ સામે આવી રહ્યા છે. વેસુ વિસ્તારમાં માતા-પિતા સાથે રહેતી એક મહિલાએ દાવો કર્યો છે કે ઘેલાણીએ આત્મહત્યા નથી કરી પણ તેનું મર્ડર થયું છે. યુવતીએ આ સુરત શહેર પોલીસ કમિશ્નરને અરજી કરી તપાસની માગ કરી છે. બીજી તુષાર ઘેલાણીના પરિવારજનોએ મહિલા સામે અરજી કરી બ્લેકમેઈલ કરવામાં આવતા હોવાની વાત કરી છે. આ અંગે સુરત ડીસીપી નિધિ ઠાકુરે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી કહ્યું હતું કે ગઈકાલે તુષાર ઘેલાણીના પરિવારજનો દ્વારા એક અરજી કરવામાં આવી છે. જેમાં એક મહિલા દ્વારા ત્રાસ અને બ્લેકમેઈલિંગના કારણે આપઘાત કરી લીધાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આની તપાસ અમે ઉચ્ચ અધિકારના સુપરવિઝનમાં શરૂ કરી દીધી છે. આમા કોઈ તથ્ય અને પુરાવા સામે આવે તો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરીશું. બીજી તરફ જે મહિલાએ તુષાર ઘેલાણીના પરિવારજનો સામે અરજી કરી છે તેની કોપી દિવ્ય ભાસ્કરની મળી છે. અરજીના અક્ષરશઃ અંશો આ પ્રમાણે છે.... તુષારભાઈ હરજીભાઈ ઘેલાણી છેલ્લા 15-16 વર્ષથી મારા ખૂબ અંગત મિત્ર હતા અને તેઓ મારી સાથે ખૂબ સમય વિતાવતા હતા.તેઓ મને તેમની અંગત પારિવારિક વાતો પણ કરતા હતા. મને 1 જાન્યુઆરી સવારે 6 વાગ્યે સમામાર મળ્યા કે તુષારભાઈ ઘેલાણીએ પોતાની જાતને ગોળી મારી દીધી છે અને મહાવીર હોસ્પિટિલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ સમાચાર મળતા હું ખૂબ જ દુ:ખી અને વ્યથિત થઈ ગઈ હતી, પણ તેમની તબિયત સ્થિર હોવાના સમાચાર મળતા મને થોડી ધરપત થઈ હતી. ‘હું આ ભયાનક દ્રશ્ય જોઈને રડવા લાગી’પરંતુ થોડીવાર પછી સોશિયલ મીડિયા તથા ન્યૂઝમાં તેમની તબિયત ખરાબ હોવાના સમાચાર મળતાં હું તુરંત મહાવીર હોસ્પિટલ ખબર કાઢવા પહોંચી ગઈ હતી. જ્યાં જઈને મેં પ્રત્યક્ષ જોયું તો તુષારભાઈ ઘેલાણીના ગળાથી ઉપરનો ભાગ ડૉક્ટરે કવર કર્યો હોય તેમનો ચહેરો જોઈ શકાતો નહોતો. હું આ ભયાનક દ્રશ્ય જોઈને ભાંગી પડી હતી અને રડવા લાગી હતી. ત્યારે તુષારભાઈ ઘેલાણીના પરિવારજનો મારી સાથે ગમેતેમ બોલાવ્યા લાગ્યા હતા. તેમ છતા હું થોડીવાર હોસ્પિટલ રોકાઈને ત્યાં કોઈ પણ એવો બનાવ ન બને જેનાથી તુષારભાઈ ઘેલાણીને દુ:ખ પહોંચે તે માટે હું હોસ્પિટલમાંથી જતી રહી હતી. ‘મારાથી ન રહેવાતા હું ફરી હોસ્પિટલ પહોંચી’ત્યાર બાદ હું મારી રીતે તુષારભાઈ ઘેલાણીની તબિયતના સમાચાર મેળવતી રહેતી હતી. તેવામાં 4 ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે તેમની તબિયતમાં સુધાર થઈ રહ્યાના સમાચાર મળ્યા હતા. તેના બે કલાક બાદ તેમના અંગદાનના સમાચાર મળતા મારાથી ન રહેવાતા હું ફરી હોસ્પિટલ પહોંચી ગઈ હતી. ‘તુષારભાઈ કોઈ કાળે આત્મહત્યા કરે તેવા વ્યક્તિ ન હતા’તુષારભાઈ ઘેલાણીના મૃત્યુને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. સમાચાર માધ્યમમાં કંકોત્રી લખવા બાબતે કોઈ મનદુ:ખ કે તકરાર થવાથી આત્મહત્યા કર્યાના સમાચાર પ્રસિદ્ધ થઈ રહ્યા છે. પરંતુ હું તુષારભાઈ ઘેલાણીને જેટલા ઓળખું છું તે હિસાબે તેઓ કોઈ કાળે આત્મહત્યા કરે તેવા વ્યક્તિ ન હતા. ‘પરિવાર માત્ર એટીએમ મશીન તરીકે જ ઉપયોગ કરતો’તુષારભાઈ ઘેલાણી મારા સંપર્કમાં આવ્યા તે પહેલાથી જ પરિવારથી ખૂબ દુ:ખી હતા અને તેમનો પરિવાર તેમની સાથે કોઈ સંબંધ રાખો ન હોવાનું મને અવાર-નવાર જણાવતા હતા. તેમનો પરિવાર માત્રને તેમનો એટીએમ મશીન તરીકે પૈસા માટે ઉપયોગ કરતો હોવાનું અને કોઈ કાળજી રાખતા ન હોવાનું તેમજ માન-સન્માન પણ આપતા ન હોવાનું મને જણાવતા હતા. તેના કારણે તેઓ ખૂબ દુ:ખી રહેતા હતા. તેઓ મજબૂત મનોબળના કારણે બધુ સહન કરીને પણ બધુ બરોબર હોવાનું સમાજ દેખાવો કરતા હતા, પરંતુ તુષારભાઈના પિતા અને તેમના બહેન આ બધી હકીકતો જાણતા હતા. તેમની હૂંફ પણ તુષારભાઈ માટે રહેતી હતી. ‘વર્ષો જુના અંગત સંબંધોના કારણે અમે 25 લાખ આપી ફરજ નિભાવી’તુષારભાઈ ઘેલાણી તેમની દીકરીના લગ્નમાં કોઈ કમી ન રહી જાય તે માટેની તમામ ચિંતા કરતા હતા અને તેઓએ તે માટે મારી માતા પાસેથી રૂપિયા 25 લાખ વિસેક દિવસ પહેલા હાથ ઉછીના લીધા હતા. અને તે માટે તુષારભાઈ મારો અને મારી માતોનો ખૂબ આભાર માનતા હતા. તુષારભાઈ સાથેના મારા વર્ષો જુના અંગત સંબંધોના કારણે અમે આને અમારી ફરજ અને સૌભાગ્યનું સામાન્ય કાર્ય હોવાનું તેમને જણાવ્યું હતું. તુષારભાઈ ઘેલાણી તેમના મોબાઈલમાં કોઈ પણ સાથે વાત કરતા, મેસેજ કરતા કે સોશિયલ મીડિયામાં કોઈ એક્ટિવિટી કરતા તે તમામની પરિવારજનોને ખબર પડી જતી હતી. તેમજ તેઓ તેમની કારમાં જ્યાં પણ જતા હતા તેના પર પણ નજર રાખવામાં આવતી હતી. પરિવારજનો તુષારભાઈ ઘેલાણીને ખૂબ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરતી હતી. તેઓ મારા ઘરે મને મળવા આવતા તો પણ પરિવારજન ઘરે આવી જતા અને તુષારભાઈ સાથે ઝઘડો કરતા. આ બધા કારણોસર તુષારભાઈ છેલ્લા એકાદ વર્ષથી ખૂબ જ દુ:ખી રહેતા હતા. તેઓ પરિવાર પાસેથી પ્રેમ અને હૂંક ઈચ્છતા હતા. પણ પરિવાર તેમને પ્રેમ અને હૂંફ આપવાની જગ્યાએ ડરાવી ધમકાવીને રાખતું હતું. તુષારભાઈ ઘેલાણીએ છેલ્લે મારે સાથે 31 ડિસેમ્બરની સાજે 6થી 8 વાગ્યાની વચ્ચે ફોન કરીને વાત કરી હતી. તેઓ ખૂબ ખુશ હતા. લગ્ન પ્રસંગને કારણે બધા સગા-સંબેધીઓ પણ આવી ગયાનું અને બધુ બરોબર ચાલતું હોવાનું જણાવ્યું હતું. તેઓ ખુબ ખૂશ હોવા છતાં તુષારભાઈએ તે જ દિવસે મોડી રાત્રે એટલે કે 3-4 કલાકમાં તેમના પરિવારમાં બધા સભ્યો ભેગા થયા હોય ત્યારે એવું શું બન્યું તેઓ આત્મહત્યા કરી લે તે વાત ગળે ઉતરે તેમ નથી. તેમજ મને પૂરેપુરી શંકા છે કે તેઓનું કોઈએ મર્ડર કર્યું છે. જે તમામ સંજોગોમાં તુષારભાઈ ઘેલાણીની અકસ્માત મોત અંગે યોગ્ય તપાસ થવી જોઈએ એવી મારી નમ્ર અરજ છે. આ પ્રશ્નો હજુ પણ અનુત્તર એક સફળ બિલ્ડર અને પરિવારના મોભી એવા તુષારભાઈએ આટલું અંતિમ પગલું કેમ ભર્યું? શું માત્ર ક્ષણિક આવેશમાં આવીને આ નિર્ણય લેવાયો કે પછી કોઈ ઊંડું માનસિક દબાણ હતું? પોલીસ હાલ આ તમામ પાસાં પર તપાસ કરી રહી છે. કોણ હતા તુષાર ઘેલાણી? તુષાર ઘેલાણી સુરતના રિયલ એસ્ટેટ માર્કેટનું ખૂબ મોટું અને આદરણીય નામ હતું. તેમની કંપની ઘેલાણી બિલ્ડર્સ, ઘેલાણી ગ્રુપ અને 1990થી સુરતના બાંધકામક્ષેત્રે સક્રિય હતા. તેમની મેઈન ઓફિસ સુરતના પાર્લે પોઈન્ટ ખાતે જોલી કોમ્પ્લેક્સમાં આવેલી હતી. તેઓ સુરતમાં આધુનિક આર્કિટેક્ચર અને લક્ઝુરિયસ રહેણાક પ્રોજેક્ટ્સ બનાવવા માટે જાણીતા હતા.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 5:13 pm

વલસાડમાં દારૂબંધીનો કડક અમલ, રૂ. 1.31 કરોડનો મુદ્દામાલ ઝડપાયો:4 દરોડામાં 4 આરોપીઓની ધરપકડ, તપાસ તેજ

વલસાડ જિલ્લામાં દારૂબંધીના કડક અમલના ભાગરૂપે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. જિલ્લા પોલીસ વડાની સૂચના હેઠળ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે દારૂની હેરાફેરી કરતા ચાર અલગ-અલગ કેસો શોધી કાઢ્યા છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 1.31 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં રૂ. 95.87 લાખનો દારૂ અને વાહનોનો સમાવેશ થાય છે. પ્રથમ દરોડામાં, ક્રાઈમ બ્રાન્ચે GJ-14-X-6601 નંબરના આઈશર ટેમ્પોમાંથી રૂ. 37.34 લાખની કિંમતની 3012 વિદેશી દારૂ/વોડકાની બોટલો જપ્ત કરી હતી. ટેમ્પો અને મોબાઈલ સહિત કુલ રૂ. 42.39 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાલકની ધરપકડ કરવામાં આવી છે. બીજા કિસ્સામાં, LCB દ્વારા GJ-15-AX-6884 નંબરના ટેમ્પોમાંથી રૂ. 20.73 લાખનો ભારતીય બનાવટનો દારૂ/બીયર ઝડપી પાડવામાં આવ્યો હતો, જેમાં કુલ રૂ. 25.78 લાખનો મુદ્દામાલ કબ્જે લેવાયો છે. ડુંગરી પોલીસે DD-01-AE-9432 નંબરના ટ્રકને આંતરી રૂ. 35.06 લાખની કિંમતની 8956 દારૂની બોટલો ઝડપી પાડી હતી. ટ્રક સહિત કુલ રૂ. 58.11 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ચોથા કિસ્સામાં, GJ-06-FQ-2717 નંબરની અર્ટિગા કારમાંથી રૂ. 2.73 લાખનો દારૂ મળી આવ્યો હતો, જેમાં કાર સહિત કુલ રૂ. 5.03 લાખનો મુદ્દામાલ ઝડપાયો છે. વલસાડ જિલ્લા પોલીસે આ ચારેય કેસમાં વાહનોના ચાલકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આટલી મોટી માત્રામાં દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં વધુ તપાસ તેજ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 5:08 pm

ડભોલી-જહાંગીરપુરા બ્રિજ રિપેરિંગને પગલે BRTS રૂટમાં ફેરફાર:78 દિવસ સુધી વાહનવ્યવહાર ડાયવર્ટ કરાયો, તંત્ર દ્વારા સ્પેશિયલ શટલ બસ સર્વિસ પણ શરૂ કરાઈ

સુરત શહેરના તાપી નદી પર આવેલા ડભોલી અને જહાંગીરપુરાને જોડતા રિવર બ્રિજના બંને તરફના વેરિંગ કોટ રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરી લાંબા સમય સુધી ચાલનારી હોવાથી અને રિપેરિંગ દરમિયાન વાહન વ્યવહાર ચાલુ રાખવો જોખમી હોવાથી મ્યુનિસિપલ કમિશનરના જાહેરનામા મુજબ આ બ્રિજ પરનો વાહનવ્યવહાર આગામી 78 દિવસ સુધી ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. તા. 15/02/2026થી તા. 30/04/2026 સુધી જહાંગીરપુરાથી ડભોલી તરફનો ટ્રેક તમામ પ્રકારના વાહનો માટે અનિવાર્યપણે બંધ રાખવામાં આવશે, જેથી બ્રિજની મજબૂતીનું કામ નિર્વિઘ્ને પૂર્ણ કરી શકાય. કયો રૂટ બંધ રહેશે?આ રિપેરિંગ કામગીરીને કારણે BRTS અને સીટી બસ સેવાઓના રૂટ પર પણ મોટી અસર જોવા મળશે. ખાસ કરીને BRTS રૂટ નં. 13 જે જહાંગીરપુરાથી કડોદરા સુધી ચાલે છે, તેને હવે ડો. શ્યામાપ્રસાદ મુખર્જી બ્રિજ થઈને કડોદરા તરફ વાળવામાં આવ્યો છે. એવી જ રીતે રૂટ નં. 14 (ONGC થી કોસાડ)માં પણ ફેરફાર કરીને તેને બે અલગ વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં એક રૂટ ONGCથી જહાંગીરપુરા અને બીજો રૂટ ડો. શ્યામાપ્રસાદ મુખર્જી બ્રિજથી કોસાડ સુધી કાર્યરત રહેશે. આ ફેરફારો તા. 13/02/2026 થી જ અમલી બનાવી દેવામાં આવ્યા છે જેથી મુસાફરોને બ્રિજ બંધ થતા કોઈ અગવડ ન પડે. ખાસ સ્પેશિયલ શટલ બસ સર્વિસ શરૂવધુમાં જહાંગીરપુરા વિસ્તારના રહીશોની સુવિધા માટે તંત્ર દ્વારા એક ખાસ સ્પેશિયલ શટલ બસ સર્વિસ શરૂ કરવામાં આવી છે. આ સર્વિસ જહાંગીરપુરાથી જહાંગીરપુરા સુધી એન્ટી-ક્લોકવાઈઝ લૂપમાં ચાલશે, જે ચંદ્રશેખર આઝાદ બ્રિજ, કતારગામ બ્રિજ અને ગજેરાથી ડભોલી બ્રિજ થઈને જહાંગીરપુરા પરત ફરશે. સુરત મહાનગરપાલિકાના જનસંપર્ક વિભાગે જણાવ્યું છે કે, દરરોજ અંદાજે 2 લાખથી વધુ મુસાફરો આ સેવાઓનો લાભ લે છે, તેથી કામગીરી પૂર્ણ થતાની સાથે જ તમામ રૂટ રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે. મુસાફરોને આ સમયગાળા દરમિયાન સહકાર આપવા અને વૈકલ્પિક રૂટની નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 5:01 pm

NDPS કેસમાં આરોપીને 12 વર્ષની સખત કેદ:મોહમ્મદ આરીફ સૈયદ 85 કોડીન ફોસ્ફેટ સીરપની બોટલો સાથે ઝડપાયો, કોર્ટે 2 લાખનો દંડ ફટકાર્યો

અમદાવાદના DCB પોલીસ મથકે દાણીલીમડાના રહેવાસી મોહમ્મદ આરીફ સૈયદ સામે NDPS એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી NDPSની વિશેષ અદાલતમાં ચાલી જતા જજ વી.બી રાજપૂતે 12 સાહેદ અને કુલ 26 પુરાવા ચકાસી તેમજ સરકારી વકીલ દિલીપસિંહ.એમ.ઠાકોરની દલીલોને ધ્યાને લઈને આરોપીને કુલ 12 વર્ષની સખત કેદ અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ઘરમાંથી કુલ 85 નંગ કોડીન ફોસ્ફેટ ધરાવતી સીરપની બોટલો મળી આવીકેસને વિગતે જોતા પોલીસને બાતમી મળી હતી કે, આરોપી પોતાના ઘરેથી નશાકારક સીરપનું વેચાણ કરે છે. જેને લઇને પોલીસે આરોપીના ઘરે દરોડા પાડ્યા હતા. તેના ઘરમાંથી કુલ 85 નંગ કોડીન ફોસ્ફેટ ધરાવતી સીરપની બોટલો મળી આવી હતી. જેની કિંમત 15 હજાર રૂપિયા કરતા વધુ થવા જતી હતી. નશાને લઈને યુવાધન બરબાદ થઈ રહ્યું છેઉલ્લેખનીય છે કે, આરીફ અગાઉ પણ NDPSના ગુનામાં સંકળાયેલ હતો. સરકારી વકીલ તરફથી સજાના એલાન સમયે કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે, નશાને લઈને યુવાધન બરબાદ થઈ રહ્યું છે. ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે. અગાઉ પણ આરોપી આવા ગુનામાં ઝડપાયેલ છે. નશો કરનાર વ્યક્તિ જ નહીં તેના કુટુંબને પણ અનેક વિષમ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:57 pm

'કિસ મળી જાય તો મજા આવી જાય,નસીબ ખરાબ છે', VIDEO:દોસ્તો બેઇજ્જત કરે છે, કિસ ડે પર અમદાવાદી ગર્લ્સ-બોય્ઝે તો ખરી ભડાશ કાઢી

વેલેન્ટાઇન વીકનો સાતમો દિવસ એટલે કિસ ડે. આ દિવસે પ્રિયજનને કિસ કરી યાદગાર બનાવવાનો છે., કારણ કે પ્રેમ માત્ર શબ્દોથી નહીં કિસથી પણ વ્યક્ત થઈ શકે છે. દિવ્ય ભાસ્કરે આજે કિસ ડે પર કોલેજ કેમ્પસના યુવાઓ સાથે વાતચીત કરી હતી. જેમાં એક છોકરાએ તો પોતાના નસીબ પર જ દોષનો ટોપલો ઢોળ્યો હતો. તે કિસ માટે તલપાપડ હોય એવું લાગતું હતું. ગર્લ્સ અને બોય્ઝે કેવી રીતે મનાવ્યો કિસ ડે એ જાણવા તસવીર પર ક્લિક કરો.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:56 pm

હિંમતનગર, ઇડર, વડાલીમાં EVM ફર્સ્ટ લેવલ ચેકિંગ પૂર્ણ:નગરપાલિકા ચૂંટણી માટે 224 CU, 448 BU નું ટેકનિકલ પરીક્ષણ

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર, ઇડર અને વડાલી નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીઓ પૂર્વે EVM મશીનોનું ફર્સ્ટ લેવલ ચેકિંગ (FLC) પૂર્ણ થયું છે. આ પ્રક્રિયામાં કુલ 224 કંટ્રોલ યુનિટ (CU) અને 448 બેલેટ યુનિટ (BU)નું ટેકનિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. રાજ્ય ચૂંટણી પંચની સૂચના અનુસાર, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ નગરપાલિકાઓની ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીના સમયપત્રકમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો હતો. અગાઉ આ ચેકિંગ 13 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી દરમિયાન યોજાવાનું હતું. જોકે, રાજ્ય ચૂંટણી આયોગ તરફથી મળેલી નવી સૂચનાઓ મુજબ, આ પ્રક્રિયા વહેલી શરૂ કરવામાં આવી હતી. નવા નિર્ધારિત સમય મુજબ, ચેકિંગની કામગીરી 12 ફેબ્રુઆરીથી હિંમતનગરની પોલીટેકનિક કોલેજના ઓલ્ડ બોયઝ હોસ્ટેલ ખાતેના EVM વેરહાઉસમાં શરૂ થઈ હતી. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) કંપનીના બે એન્જિનિયરો સાથે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગુરુવાર અને શુક્રવારે બે દિવસ સુધી EVM મશીનોનું ટેકનિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આમ, હિંમતનગર, ઇડર અને વડાલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેના વેરહાઉસમાં રાખવામાં આવેલા 224 CU અને 448 BUનું ફર્સ્ટ લેવલ ચેકિંગ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:54 pm

ગુંડા ચિરાગ ગોટીનો પાપનો ઘડો છલકાયો:વધુ એક ફરિયાદ 3 લાખ સામે 18 લાખની માંગણી, 40 માણસો સાથે બિલ્ડરના ઘરે જઈ આપી ધમકી, અત્યાર સુધીમાં 10 ફરિયાદ

સુરતમાં કુખ્યાત વ્યાજખોર ચિરાગ ગોટીનો પાપનો ઘડો હવે ભરાઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. ડ્રગ્સ કેસમાં સરન્ડર કર્યા બાદ ચિરાગ વિરુદ્ધ એક પછી એક ફરિયાદોનો ઢગલો થઈ રહ્યો છે. કાલે શહેરના ચોક બજાર પોલીસ મથકે રજની વાવડીયા નામના બિલ્ડરે ચિરાગ ગોટી વિરુદ્ધ ખંડણી અને ધમકીની ગંભીર ફરિયાદ નોંધાવી છે. આરોપી 40 જેટલા માણસોનું ટોળું લઈને બિલ્ડરના ઘરે પહોંચી ગયો હતોફરિયાદી બિલ્ડર રજની વાવડીયાએ પોલીસને જણાવ્યું હતું કે, અગાઉ તેમને અચાનક નાણાંની જરૂરિયાત ઊભી થતા તેમણે ચિરાગ ગોટીનો સંપર્ક કર્યો હતો અને તેની પાસેથી રૂ. 3 લાખ વ્યાજે લીધા હતા. જોકે, થોડા સમય બાદ ચિરાગે પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. બિલ્ડર જ્યારે તેનો ફોન ઉપાડી શક્યા નહોતા ત્યારે ચિરાગ ગોટી અંદાજે 40 જેટલા માણસોનું ટોળું લઈને બિલ્ડરના ઘરે પહોંચી ગયો હતો. ત્યાં તેણે પરિવારની હાજરીમાં બીભત્સ ગાળો આપી, હથિયાર બતાવીને 3 લાખના બદલામાં તાત્કાલિક 18 લાખ ચૂકવી દેવા માટે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બિલ્ડરે રુપિયાની જરુર પડતાં ચિરાગનો સંપર્ક કર્યો હતોSOGના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે, ચિરાગ ગોટીના અનેક વિડિયો વાયરલ થયા છે અને ત્યારબાદ લોકો ફરિયાદ નોંધાવા પહોંચી રહ્યા છે ગઈકાલે રજની વાવડીયા નામના બિલ્ડરે ચોક બજારમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેને અચાનક રૂપિયાની જરૂર પડતા ચિરાગ ગોટીનો સંપર્ક કર્યો હતો અને ત્રણ લાખ રૂપિયા લીધા હતા અને પછી ચિરાગ નો ફોન ના ઉપાડતા ફરિયાદીના ઘરે ચિરાગ ગોટીએ 40 માણસો લઈ જઈ ધાક ધમકી આપી 18 લાખ રૂપિયા તાત્કાલિક ચૂકવવા માટે તેને ઘાતક હથિયાર વડે ધમકી આપી હતી જેની ફરિયાદ ચોક બજાર વિસ્તારમાં નોંધાવવામાં આવી છે. અત્યાર સુધીમાં 10 જેટલી ફરિયાદ નોંધાઈ ચૂકી છેચિરાગ ગોટી વિરુદ્ધ અત્યાર સુધીમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં 10 જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે. સોશિયલ મીડિયા પર તેના અનેક વીડિયો વાયરલ થયા છે, જેમાં તે નિર્દોષ લોકોને ઢોર માર મારતો, હવામાં ફાયરિંગ કરતો અને રિવોલ્વર બતાવી ધમકાવતો જોવા મળે છે. એક વીડિયોમાં તો તે પીડિતને ગાદલા પર સુવડાવીને લાકડીઓથી ફટકારતો જોવા મળ્યો હતો, જ્યારે અન્ય એક કિસ્સામાં તેણે જમીન દલાલ જીગ્નેશ વ્યાસ પાસેથી 23 કરોડ પડાવ્યા હોવાનો આક્ષેપ પણ થયો છે. ચિરાગના પિતાની પણ ધરપકડ માત્ર ચિરાગ જ નહીં, પરંતુ તેના કાળા કામોમાં સાથ આપનારા તેના પિતા ઘનશ્યામ ગોટી અને ભાઈ નિરાંત ગોટી વિરુદ્ધ પણ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ચોક બજાર પોલીસે ખંડણીના ગુનામાં ચિરાગના પિતા ઘનશ્યામ ગોટીની પણ ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ચિરાગ પોતાની ધાક જમાવવા માટે માર મારવાના વીડિયો શૂટ કરી તેને વાયરલ કરતો હતો. જેથી, કોઈ તેની સામે અવાજ ન ઉઠાવે. SOG દ્વારા પીડિતોને અપીલ સુરત પોલીસ કમિશનર અને SOG દ્વારા પીડિતોને ડર્યા વગર સામે આવવા અપીલ કરવામાં આવી છે. ચિરાગ ગોટીના વધતા ગુનાહિત ઇતિહાસને જોતા પોલીસ તેની સામે ગુજસીટોક જેવા કડક કાયદા હેઠળ કાર્યવાહી કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:51 pm

પાટણ નગરપાલિકાએ ઝીરો વેસ્ટ ઇવેન્ટનું આયોજન કર્યું:પ્રાદેશિક કમિશનરે વિલંબિત પ્રોજેક્ટ્સ ઝડપી પૂર્ણ કરવા સૂચના આપી

ગાંધીનગર ઝોનના પ્રાદેશિક કમિશનર દ્વારા પાટણ, બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના વિકાસ કામોની સમીક્ષા માટે નવીન સર્કિટ હાઉસ ખાતે એક રિવ્યુ મીટિંગ યોજાઈ હતી. પાટણ નગરપાલિકાએ આ બેઠકનું 'ઝીરો વેસ્ટ ઇવેન્ટ' તરીકે આયોજન કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. આ બેઠકમાં ખાસ કરીને પાટણના વિલંબિત પ્રોજેક્ટ્સને ઝડપથી પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઝીરો વેસ્ટ આયોજન હેઠળ, મીટિંગ માટેના તમામ બેનરો વેસ્ટ પેપરમાંથી બનાવવામાં આવ્યા હતા, જેનાથી ખર્ચમાં ઘટાડો થયો. કાર્યક્રમ દરમિયાન ભોજનનો બગાડ અટકાવવા માટેના પગલાં લેવાયા હતા અને પ્લાસ્ટિક કે અન્ય કોઈ પણ પ્રકારની ડિસ્પોઝેબલ વસ્તુઓનો ઉપયોગ ટાળવામાં આવ્યો હતો. વિકાસ કામોની સમીક્ષા દરમિયાન, પાટણ નગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આવતા વિલંબિત પ્રોજેક્ટ્સ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું. TP-2 વિસ્તારમાં ગાર્ડનનું નિર્માણ અને પીતાંબર તળાવના ડેવલપમેન્ટના કામમાં થઈ રહેલા વિલંબ અંગે પ્રાદેશિક કમિશનરે ગંભીર નોંધ લીધી. તેમણે આ બંને મહત્વના પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપી વહેલી તકે પૂર્ણ કરવા નગરપાલિકાના અધિકારીઓને સૂચના આપી. આ ઉપરાંત, અન્ય ચાલુ વિકાસના કામોમાં ગુણવત્તા જાળવી તેને સમયમર્યાદામાં પૂરા કરવા માટે પણ પ્રાદેશિક કમિશનર દ્વારા કડક તાકીદ કરવામાં આવી હતી. આ સમીક્ષા બેઠક દરમિયાન રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો. 17 ચાણસ્મા વિધાનસભાના ધારાસભ્યના અધિકૃત પ્રતિનિધિને હિતેશ ઠક્કર ને બેઠકમાં પ્રવેશ ન અપાતા અને તેની સામે હારીજ નગરપાલિકાના ઉપપ્રમુખના પતિને સ્થાન મળતા, હારીજ શહેર કોંગ્રેસ પ્રમુખ નિતિન ઠક્કરે સરકારની બેવડી નીતિ સામે સવાલો ઉઠાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:50 pm

સાબરકાંઠામાં ધો-12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષા:5 કેન્દ્રો પર 553 વિદ્યાર્થીઓ હાજર, 7 ગેરહાજર રહ્યા

સાબરકાંઠા જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાના આઠમા દિવસે પાંચ કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી. કુલ 560 વિદ્યાર્થીઓમાંથી 553 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે 7 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન વિષયની પ્રાયોગિક પરીક્ષા 5થી 16 ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ રહી છે. આ પરીક્ષા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, ઇડર, તલોદ, ખેડબ્રહ્મા અને વડાલી તાલુકામાં આવેલા કુલ 11 કેન્દ્રો પર લેવામાં આવી રહી છે. શુક્રવારે યોજાયેલી પરીક્ષામાં રસાયણ વિજ્ઞાન વિષયમાં 200 માંથી 194 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે 6 વિદ્યાર્થીઓ ગેરહાજર હતા. ભૌતિક વિજ્ઞાનમાં 200 માંથી તમામ 200 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જીવ વિજ્ઞાન વિષયમાં 160 માંથી 159 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 1 વિદ્યાર્થી ગેરહાજર નોંધાયો હતો.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:40 pm

વિપક્ષે 922 કરોડના સુધારા સાથે બજેટ મૂક્યું:શહેરમાં નાગરિકોને 24× 7 પાણી પૂરું પાડો, ગીચ વિસ્તારમાંથી BRTS દૂર કરો, ભ્રષ્ટાચાર દૂર કરવા લોકપાલની નિમણૂક કરો

રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2026-27નું મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કુલ રૂપિયા 18,518 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ પોતાના સુધારા સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા 652 કરોડ રૂપિયાના વિકાસ કાર્યો સહિત 922 કરોડ રૂપિયાનો સુધારો મૂકી 19,440 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે શહેરના નાગરિકો પ્રોપર્ટી ટેક્સ સમયસર ન ભરે તો તેમાં 18% વ્યાજ વસૂલ કરવામાં આવે છે તેને ઓછું કરી 7% કરવા માટેની બજેટમાં રજૂઆત કરી હતી. ‘24 કલાક પાણી ને ગીચ વિસ્તારમાંથી BRTS બંધ કરવા રજૂઆત’વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ કોંગ્રેસનું બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના સત્તાધીશોએ માત્ર કલ્પનાઓનું જ બજેટ રજૂ કર્યું છે. દર વર્ષે બજેટમાં સુધારો મૂકવામાં આવે છે, પરંતુ અસરકારક રીતે તેનો ઉપયોગ થતો નથી. કોંગ્રેસે રજૂ કરેલા બજેટમાં શહેરમાં નાગરિકોને 24 કલાક અને 365 દિવસ પૂરતા પ્રેશરથી પાણી આપવા માટે 100 કરોડ રૂપિયા ફાળવ્યા છે. ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે ગીચ વિસ્તારમાંથી બીઆરટીએસ દૂર કરવા અને ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે માસ્ટર પ્લાન બનાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. ‘અમદાવાદમાં રિહેબ સેન્ટર બનાવવા 5 કરોડ રૂપિયાની ફાળવણી’શહેરમાં યુવા વર્ગ દારૂ, ચરસ, ગાંજો જેવા નશાકારક ચીજ વસ્તુઓની નશાખોરી કરી રહ્યા છે ત્યારે તેની આદત છોડાવવા માટે અમદાવાદમાં રિહેબ સેન્ટર બનાવવા માટે પણ પાંચ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ‘લોકપાલ નિમણૂક કરવાની માગ’અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગોને પ્રોજેક્ટમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ ચાલે છે જેની અનેક રજૂઆતો કમિશનર અને સત્તાધારી પક્ષના હોદ્દેદારોને કરવામાં આવી છે ત્યારે કોઈ કાર્યવાહી થઈ નથી જેથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પારદર્શક વહીવટ અને ભ્રષ્ટાચાર મુક્ત બને તેના માટે તટસ્થ તેમજ તપાસ એજન્સી તરીકે લોકપાલ નિમણૂક કરવાની માગ કોંગ્રેસે કરી છે. ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ કરી વોર્ડ દીઠ યોગ્ય જગ્યાએ પાણી, ડ્રેનેજ, રસ્તા, લાઈટ, કચરા વગેરેના નિકાલની સુવિધા સાથે બજારનું આયોજન કરવા 20 કરોડ રૂપિયાની પણ ફાળવણી કરી છે. ‘સ્પીડ બ્રેકરો અને ફૂટપાથ બનાવવા માટે પોલિસી’મહિલા સશક્તિકરણ નીતિ અંતર્ગત નાના-મોટા રોજગાર કરતી મહિલાઓને પ્રોપર્ટી ટેક્સમાં રિબેટ આપવાથી આર્થિક ટેકો મળી રહે અને મહિલાઓ ધંધો રોજગાર કરવા પ્રેરાય તેના માટે મહિલા આંતરપ્રિન્યોર માટે પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવા માટેનું પણ ઠરાવવામાં આવ્યું છે. શહેરમાં તમામ સ્ટ્રીટ લાઈટો પર સોલાર પેનલ નાખવા માટેની પણ 25 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. શહેરમાં અનેક જગ્યાએ સ્પીડ બ્રેકર મૂકવામાં આવેલા છે અને મોટી ફૂટપાથો બનેલી છે તેના માટેની કોઈ પોલિસી નથી. ખાસ કરીને સ્પીડ બ્રેકરના કારણે અકસ્માત થતા હોય છે જેથી સ્પીડ બ્રેકરો અને ફૂટપાથ બનાવવા માટે પોલિસી બનાવવા ઠરાવવામાં આવ્યું છે. ‘વિરાસતો બચાવવા 50 કરોડની ફાળવણી’અમદાવાદમાં રોડ રીસરફેસની પોલિસી બનાવવા માટેની પણ માગ કરવામાં આવી છે. હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે ત્યારે સંસ્કૃતિ રૂપી વિરાસતો બચાવવા 50 કરોડ અને શહેરના ઐતિહાસિક ધાર્મિક સ્થાનોનો વિકાસ કરવા માટે પોલિસી બનાવીને 50 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે. સાબરમતી નદીમાં આવેલા તમામ ફ્રેન્ચવેલ કાર્યરત કરવા માટે પણ 50 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જ્યારે દરેક ઝોનમાં રેન બસેરાનો મહત્તમ ઉપયોગ થઈ શકે તેવી સુવિધા સાથે બનાવવા પણ 10 કરોડની ફાળવણી કરાઈ છે. ‘બજેટ સેશનમાં કોંગ્રેસ સુધારા રજૂ કરશે’વિપક્ષ કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં 652 કરોડ રૂપિયા વિકાસના કામો, વીએસ હોસ્પિટલ માટે 200 કરોડ, માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલય માટે એક કરોડ, એએમટીએસ માટે 25 કરોડ અને સ્કૂલ બોર્ડ માટે 69 કરોડ એમ કુલ 922 કરોડ રૂપિયાનો સુધારો મૂકવામાં આવ્યો છે. વિકાસ કામો 652 કરોડ રૂપિયાના છે. 19 અને 20 ફેબ્રુઆરીના રોજ મળનારા બજેટ સેશનમાં કોંગ્રેસ દ્વારા પોતાના સુધારા રજૂ કરાશે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:38 pm

બોટાદમાં બ્રહ્માકુમારીઝ મહાશિવરાત્રી મહોત્સવનું આયોજન કરશે:15 ફેબ્રુઆરીએ શિવ નૃત્ય, જ્યોતિર્લિંગ દર્શન; શાંતિ શિબિર પણ

બોટાદમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા મહાશિવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા બ્રહ્માકુમારીઝ, જે 142 થી વધુ દેશોમાં કાર્યરત છે, તેનું બોટાદ સેવા કેન્દ્ર 15 ફેબ્રુઆરી, 2026 રવિવારના રોજ સાંજે 8:30 કલાકે આ મહોત્સવ યોજશે. સ્થળ સુંદરમ્ સ્કૂલ સામે, નારાયણ નગર, પાળીયાદ રોડ, બોટાદ છે. આ મહોત્સવમાં 12 જ્યોતિર્લિંગ દર્શન, શિવનૃત્ય અને શિવ સંદેશ પ્રવચન જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. મુખ્ય સંચાલિકા બ્ર.કુ.નીતા દીદીના સાનિધ્યમાં અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે. મહાશિવરાત્રી મહોત્સવ ઉપરાંત, બ્રહ્માકુમારીઝ બોટાદ દ્વારા 'શાંત જીવન શિબિર: વાહ... જિંદગી વાહ' નું પણ આયોજન કરાયું છે. આ શિબિર 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી દરરોજ રાત્રે 8:30 થી 10:00 કલાકે સુંદરમ્ સ્કૂલ સામે, પાળીયાદ રોડ, બોટાદ ખાતે યોજાશે. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય રાજયોગ મેડિટેશન દ્વારા ચિંતાઓ દૂર કરી ખુશી અને શાંતિનો અનુભવ કરાવવાનો છે. શિબિરમાં મેડિટેશન દ્વારા આત્મ અનુભૂતિ, સકારાત્મક બનવાની કળા, સંસ્કાર પરિવર્તનથી જીવન પરિવર્તન, પરમાત્મ શક્તિઓની અનુભૂતિ અને ઈશ્વરીય જ્ઞાન જેવા વિષયો પર સમજૂતી આપવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:36 pm

વડનગરના ઉણાદ ગામ નજીક બસ અને ટ્રકની ટક્કર:ટ્રકની બ્રેક ન લાગતા અકસ્માત સર્જાયો, મુસાફરો ભરેલી બસ પલટતાં 8થી વધુ ઇજાગ્રસ્ત

વડનગર નજીક ઉઢાઈ નાળા અને ઉણાદ ગામ વચ્ચે આજે એક એસ.ટી. બસ અને લોડિંગ ટ્રક વચ્ચે જોરદાર ટક્કર સર્જાતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બસ પલટી મારી જતાં તેમાં સવાર 25 મુસાફરો પૈકી 8થી વધુ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. અકસ્માત બાદ સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. લોડિંગ ટ્રકની બ્રેક ન વાગવાના કારણે ટ્રક સીધી બસ સાથે અથડાઈહિંમતનગર વિભાગની ઇડર ડેપોની લોકલ બસ ઇડરથી ખેરાલુ તરફ જઈ રહી હતી. આ દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી રાજસ્થાન પાસિંગની ખીલાસળી ભરેલી લોડિંગ ટ્રકની બ્રેક ન વાગવાના કારણે ટ્રક સીધી બસ સાથે અથડાઈ હતી, જેના કારણે બસ રોડ પર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતને પગલે ચીસાચીસ મચી ગઈ હતી અને આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ટ્રક ચાલકને પણ સ્થાનિકોએ બહાર કાઢી સારવાર માટે ખસેડ્યો હતોવડનગર ડેપો મેનેજર એ.ડી. મોદીએ આ અંગે ભાસ્કરને માહિતી આપતા જણાવ્યું હતું કે, બસમાં કુલ 25 મુસાફરો સવાર હતા. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા 8થી વધુ મુસાફરોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે વડનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બસના ડ્રાઇવરને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. જ્યારે ટ્રક ચાલકને પણ સ્થાનિકોએ બહાર કાઢી સારવાર માટે ખસેડ્યો હતો. પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરીઅકસ્માતની જાણ થતા જ વડનગર ડેપો મેનેજર સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવી ઇજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી. હાલમાં તમામ ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે અને પોલીસ દ્વારા આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:23 pm

ભરૂચ પોલીસે બાઇક ચોર ઝડપ્યો, 10 બાઇક જપ્ત:આરોપી પાસેથી ચોરાયેલા વાહનોનો મોટો જથ્થો મળ્યો

ભરૂચ પોલીસે વાહન ચોરીના ગુનાઓ પર અંકુશ મેળવવા સક્રિયતા દાખવી છે. ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસે બાઇક ચોરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં 10 ચોરાયેલી બાઇક જપ્ત કરવામાં આવી છે. આ કેસમાં ગત 29 જાન્યુઆરી, 2026 ના રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આમોદના કુરચન ગામના રહેવાસી અબ્દુલ મહંમદ પટેલને ચોરીની બાઇક સાથે ઝડપી પાડ્યો હતો. તેને વધુ તપાસ માટે ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. પીઆઈ આર.એમ. વસાવાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે આરોપીની સઘન પૂછપરછ શરૂ કરી હતી. શરૂઆતમાં આરોપી અબ્દુલ પટેલ પોલીસને સહકાર આપતો ન હતો. પોલીસે કોર્ટમાંથી રિમાન્ડ મેળવી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી. આ દરમિયાન જપ્ત કરાયેલી બાઇકોના એન્જિન અને ચેસીસ નંબરમાં છેડછાડ થઈ હોવાનું સામે આવ્યું. યુક્તિપૂર્વક પૂછપરછ કરતા આરોપીએ 10 બાઇક ચોરીની કબૂલાત કરી હતી. આરોપીની મોડસ ઓપરેન્ડી (M.O.) મુજબ, તે જૂના અને બિનવપરાશ બાઇકો ભંગારના ભાવે ખરીદી તેની આર.સી. બુક મેળવી લેતો હતો. ત્યારબાદ તે બાઇકો ભંગારમાં વેચી દેતો અને તે જ મોડેલની અન્ય બાઇકો ચોરી કરતો હતો. ચોરી કરેલી બાઇકોમાં તે જૂના બાઇકોના ચેસીસ અને એન્જિન નંબર છપાવવા માટે પાલેજના જહીરશા મહેબુબ દિવાનની મદદ લેતો હતો. જહીરશા ટ્રોલી બનાવવાનું કામ કરતો હતો. નંબર પ્લેટ બદલીને આ ચોરાયેલી બાઇકો ઊંચી કિંમતે વેચવામાં આવતી હતી. પોલીસે અબ્દુલ મહંમદ પટેલ અને જહીરશા મહેબુબભાઈ દિવાન બંનેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હીરો સ્પ્લેન્ડર, સ્પ્લેન્ડર પ્લસ, CD ડિલક્સ, બજાજ બોક્સર અને CT-100 સહિત કુલ 10 ચોરાયેલી બાઇકો જપ્ત કરી છે. આરોપીઓએ આ બાઇકો ભરૂચ, પાલેજ, આમોદ અને નવસારી જેવા વિસ્તારોમાં વેચી હોવાની કબૂલાત કરી છે. ભરૂચ શહેરના શ્રવણ ચોકડી, મઢુલી સર્કલ, મિપ્કો ચોકડી અને જંબુસર બાયપાસ વિસ્તારમાંથી જેમની બાઇક ચોરાઈ હોય, તેમને જરૂરી પુરાવા સાથે ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અને પોતાની બાઇકની ઓળખ કરવા અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:21 pm

ગોંડલના માર્કેટિંગ યાર્ડની પેઢીના એકાઉન્ટ ભાડે આપી કરોડોના વ્યવહાર:બેન્ક ખાતાં પેઢી સાથે લિંક કરીને ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, 6ની ધરપકડ; 400 કરોડનું સાયબર કાંડ

રાજકોટ ગ્રામ્ય પોલીસને સાયબર ફ્રોડમાં ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત મોટી સફળતા મળી છે જેમાં દેશવ્યાપી 400 કરોડના સાયબર ફ્રોડ થયા હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. આ ઉપરાંત આરોપીઓની ઊંડાણ પૂર્વક તપાસ કરતા આરોપીઓ મોટા ભાગે યસ બેન્ક, એક્સિસ બેન્ક અને ICICI બેંકમાં જ એકાઉન્ટ ખોલાવતાં હોવાનું અને માર્કેટિંગ યાર્ડની પેઢીનો ઉપયોગ કરતા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. કારણ કે એગ્રિકલચર પેઢીને ટેક્સમાંથી મળતી રાહતના કારણે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનની માહિતી સરકારી વિભાગ સુધી પહોંચી ન શકે અને તેઓ આશાનીથી રોકડ રકમ તેમજ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી સાયબર ફ્રોડની રકમનો ઉપાડ કરી આગળ મોકલતા હતાં. આ કેસમાં પોલીસ કુલ 6 આરોપીની ધરપકડ કરી મુખ્ય આરોપી સહીત ફરાર અન્ય 4 આરોપીની શોધખોળ હાથ ધરી છે. ત્યારે દેશવ્યાપી આ સાયબર ફ્રોડ કૌભાંડમાં આરોપીઓના રિમાન્ડ દરમિયાન વધુ કેટલાક ખુલાસા થવાની પુરેપુરી શક્યતા સેવાઈ રહી છે. 400 કરોડનું સાયબર ફ્રોડ કૌભાંડ ઝડપાયુંરાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, ઓપરેશન મ્યુલ હંટ એકાઉન્ટ તપાસ અંતર્ગત દેશવ્યાપી 400 કરોડનું સાયબર ફ્રોડ કૌભાંડ રાજકોટ ગ્રામ્યની સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યું છે. રાજકોટ ગ્રામ્યના સાયબર ક્રાઇમ પીઆઇ રવિ ગોધમ અને તેમની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન ટેક્નિકલ એનાલિસિસ કરતા જાણવા મળ્યું હતું કે, સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર એક એકાઉન્ટ નંબર ઉપર 66 જેટલી ફરિયાદ સાયબર ફ્રોડની આવેલી છે. દોઢ વર્ષની અંદર 198 કરોડનું ટ્રાન્ઝેક્શન જેમાં તપાસ કરતા આ એકાઉન્ટ ગોંડલની જ્યોત એન્ટરપ્રાઇઝ નામની પેઢીનું હોવાનું સામે આવ્યું હતું. જેને ગોંડલનો 25 વર્ષીય યુવાન જય નાંદપરા ચલાવતો હતો. જેથી એકાઉન્ટ હોલ્ડર જય નાંદપરાની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેમની પાસે કુલ 6 જેટલા બેન્ક એકાઉન્ટ છે જે બે અલગ અલગ ટ્રેડિંગ પેઢીના નામના હોવાનું સામે આવ્યું છે જેમાં છેલ્લા દોઢ વર્ષની અંદર કુલ 198 કરોડનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું સામે આવ્યું છે. 150 કરોડના ટ્રાન્ઝેક્શન ને 200થી 400 રૂપિયા સુધી કમિશનઆ ઉપરાંત બીજા સહઆરોપી મનીષ છગનભાઇ કમાણી હોવાનું સામે આવ્યું જેના પણ અલગ અલગ એકાઉન્ટમાં 150 કરોડના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું છે, જયારે ત્રીજા આરોપી પ્રવિણસિંહ ભુપતભાઇ પરમારના એકાઉન્ટમાં 33 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું છે. આ ત્રણેય આરોપી જય નાંદપરા, મનીષ કમાણી અને પ્રવિણસિંહ પરમાર દેશભરમાં થતી સાયબર ફ્રોડની રકમ પોતાના એકાઉન્ટમાં લેતા હતા અને બાદમાં તેમને એક લાખ રૂપિયા ઉપર 200થી 400 રૂપિયા સુધી કમિશન મળતું હતું. રોકડ ઉપાડીને અન્ય જગ્યાએ રૂપિયા ટ્રાન્સફર કરી આપતાએકાઉન્ટ હોડલર ઉપરાંત ગોંડલના ઋષિત રૈયાણીને ઝડપી પાડવામાં આવ્યો છે જે પોતે મિડિયેટર હોવાનું સામે આવ્યું છે, પોતે એકાઉન્ટ ખોલાવી આપવાનું તેમજ એકાઉન્ટ મેળવી આપવાનું કામ કરતો હતો, જયારે આરોપીઓ સાથે સંડોવાયેલ આંગડિયા પેઢીના બે માણસો મયુરસિંહ મહિપતસિંહ વાઘેલા અને મહેન્દ્રસિંહ કલ્યાણજી જાડેજાની પણ ધરપકડ કરવામાં આવી છે. કારણ કે તેઓ આ ગુનામાં આરોપીઓ સાથે મળી સાયબર ફ્રોડની રકમ હોવાનું જાણવા છતાં મિડિયેટર મારફત આરોપીઓના સંપર્કમાં રહી ફ્રોડની રકમ આવ્યા બાદ રોકડ ઉપાડ કરી અન્ય જગ્યાએ રૂપિયા ટ્રાન્સફર કરી આપતા હતા. ત્રણના એકાઉન્ટમાં 380 કરોડનું ટ્રાન્ઝેક્શનઅત્યારસુધીની તપાસમાં 380 કરોડનું ટ્રાન્ઝેક્શન આ ત્રણ આરોપીઓના અલગ અલગ એકાઉન્ટમાં થયું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આખા દેશમાંથી આ ત્રણ આરોપીઓના એકાઉન્ટમાં ગુજરાત રાજ્યની 12 સહીત દેશભરના 11 રાજ્યમાંથી મળી કુલ 130 જેટલી ફરી ઓનલાઇન સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર પર મળી હોવાનું સામે આવ્યું છે. 6 આરોપીની ધરપકડ ને 4 ફરારહાલ પોલીસે ગોંડલના આરોપી જય નાંદપરા (ઉ.વ.25), રાજકોટના આરોપી મનીષ કમાણી (ઉ.વ.48), પ્રવિણસિંહ પરમાર (ઉ.વ.28), મહેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.25), મયુરસિંહ વાઘેલા (ઉ.વ.22) અને ગોંડલના ઋષિત રૈયાણી (ઉ.વ.26)ની ધરપકડ કરી બાકીના ફરાર ચાર આરોપી હૈદરાબાદના આદિલ ઉદીન, ગોંડલના લાલાભાઇ ઝાલાવડીયા, અને હર્ષિલ શાહ તેમજ મુંબઈના ભરત પરમારની શોધખોળ હાથ ધરી છે. હૈદરાબાદનો આદિલ આખું નેટવર્ક ઓપરેટ કરતોતમામ આરોપીઓ એકાઉન્ટ રાજકોટમાં જ ખોલાવતાં હતા જેમાં અન્ય રાજ્યમાંથી સાયબર ફ્રોડની રકમ આવતી હતી બાદમાં તેને ઉપાડી આંગડિયા પેઢી મારફત તેમજ બેન્ક મારફત દેશના અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હતા. ઉલ્લેખનીય છે કે હૈદરાબાદનો આરોપી આદિલ મુખ્ય આરોપી છે જે આખું નેટવર્ક ઓપરેટ કરતો હોવાનું સામે આવ્યું છે જેમાં ગુનાહિત ઇતિહાસની પણ તપાસ હાલ કરવામાં આવી રહી છે. રાજ્યમાં કુલ 12 અરજીઓમાં કરોડોનું કાંડપોલીસ તપાસમાં આરોપી જય મનસુખભાઇ નાદપરા તથા આરોપી મનીષભાઇ છગનભાઇ કામાણી દ્વારા ગુજરાત રાજ્યમાં કુલ 12 અરજીઓમાં કુલ રૂ.3 કરોડ 10 લાખ 48 હજાર 547 તથા ભારતના અન્ય રાજ્યોમાં કુલ 103 અરજીઓમાં કુલ રૂ.12 કરોડ 97 લાખ 31 હજાર 486ના કુલ સાયબર ફ્રોડના રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:17 pm

વૃદ્ધા પર હુમલો કરનારની જાહેરમાં ઉઠક-બેઠક:ગઢડાના ઈશ્વરીયા ગામે 75 વર્ષીય વૃદ્ધા પર હુમલો કર્યો હતો, પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું, આરોપી પગે પડ્યો

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઈશ્વરીયા ગામે ૭૫ વર્ષીય વૃદ્ધા પર આબરૂ લૂંટવાના ઈરાદે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ગઢડા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી નરેન્દ્રસિંહ ઉર્ફે કાના ભુપતભાઈ ગોહિલની ધરપકડ કરી હતી. વૃદ્ધાને માર મારતા તેમના બે દાંત પડી ગયા હતા અને અન્ય ઈજાઓ થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, ઈશ્વરીયા ગામમાં ૭૫ વર્ષીય વૃદ્ધા એકલા રહેતા હતા. ગામના જ નરેન્દ્રસિંહ ઉર્ફે કાના ભુપતભાઈ ગોહિલે તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલાનો ઈરાદો વૃદ્ધાની આબરૂ લૂંટવાનો હોવાનું સામે આવ્યું છે. ધરપકડ બાદ પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને ઘટના કેવી રીતે બની તેની વિગતવાર માહિતી મેળવી હતી. ત્યારબાદ પોલીસે આરોપીને ઈશ્વરીયા ગામમાં જાહેરમાં ઉઠક-બેઠક કરાવી હતી અને મહિલાઓની માફી મંગાવીને કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસે આરોપી વિરુદ્ધ BNS74, 117-2, 115-2, 329-4, 352, 351-3 કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ સમગ્ર ઘટના અંગે બોટાદના DySP મહર્ષિ રાવલે માહિતી આપી હતી.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:13 pm

MGVCL એ લુણાવાડામાં વીજ કર્મચારીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજ્યો:સલામતીના નિયમોનું પાલન કરી ઝીરો એક્સિડન્ટ લક્ષ્ય નક્કી કરાયું

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા લુણાવાડા વિભાગીય કચેરી ખાતે વીજ કર્મચારીઓની સલામતી માટે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વીજ સમારકામ જેવી જોખમી કામગીરી દરમિયાન કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન, એક વિશેષ પ્રેઝન્ટેશન દ્વારા વીજ કંપનીના પ્રવર્તમાન સલામતીના ધારાધોરણોની માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, ભૂતકાળમાં બનેલા વીજ અકસ્માતો અને તેના કારણોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તમામ કર્મચારીઓને સલામતીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની શીખ આપવામાં આવી હતી. ભવિષ્યમાં કોઈ પણ દુર્ઘટના ન સર્જાય તે માટે ero Accident (શૂન્ય અકસ્માત) ના લક્ષ્યાંક સાથે કામગીરી કરવા સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ વડોદરા મુખ્ય કચેરીના એડિશનલ ચીફ એન્જિનિયર ડી.વી. પટેલના વડપણ હેઠળ યોજાયો હતો. લુણાવાડાના કાર્યપાલક ઇજનેર યુ.એ. સોલંકી અને આર.બી. માલિવાડનું વિશેષ માર્ગદર્શન પણ પ્રાપ્ત થયું હતું. આ પ્રસંગે મહીસાગર જિલ્લામાં આવેલી MGVCLની વિવિધ પેટા વિભાગીય કચેરીઓના લાઈન સ્ટાફ તથા નાયબ ઈજનેરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વીજ લાઈન સમારકામ દરમિયાન લાઈનમેન સાથે થતા જીવલેણ અકસ્માતો અટકાવવા અને સુરક્ષા પ્રત્યે સજાગતા કેળવવાની બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:13 pm

પોલીસ બંદોબસ્તમાં રહેલા પોલીસ કર્મીને અડફેટે લીધો:થલતેજ મેટ્રો સ્ટેશન પાસે લાયસન્સ વગર ગાડી ચલાવનાર કાર ચાલકે પોલીસકર્મીને ટક્કર મારી, ફ્રેક્ચર થયું

શહેરના થલતેજ વિસ્તારમાં મેટ્રો સ્ટેશન પાસે NSG કમાન્ડો દ્વારા મોક ડ્રીલનું આયોજન 12 જાન્યુઆરીના રોજ રાત્રે કરવામાં આવ્યું હતું. મોકડ્રીલમાં સ્થાનિક બોડકદેવ પોલીસ બંદોબસ્તમાં હતી ત્યારે પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે રોડ પર અવર-જવર બંધ કરાવી હતી ત્યારે શીલજ થી થલતેજ ગામ તરફ આવતા એ કાર ચાલકે ઉપાડ ઝડપે ગાડી ચલાવી હતી જેને પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દ્વારા રોકવામાં આવી હતી પરંતુ તેણે તેની ઉપર ગાડી ચડાવી દીધી હતી અને પાડી દીધાતા જેમાં તેને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બોડકદેવ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસ કોન્સ્ટેબલ કાર ચડાવવા પ્રયાસ કર્યોએસીપી એસ.એમ.પટેલ એ જણાવ્યું હતું કે થલતેજ મેટ્રો સ્ટેશન ખાતે 12 જાન્યુઆરીના રોજ રાત્રે મોખડેલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોડકદેવ પોલીસ બંદોબસ્તમાં હતી. મોકડ્રીલ ચાલી રહી હતી જે દરમિયાનમાં શીલજ ગામ તરફથી પૂરઝડપે થલતેજ મેટ્રો સ્ટેશન તરફ એક કાર ચાલક આવી રહ્યો હતો. જેથી બોડકદેવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સરદારસિંહ અને અન્ય સ્ટાફ હાજર હતો.જેથી સરદાર સિંહે આ ગાડીને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કારચાલક દ્વારા કાર રોકવામાં આવી નહીં અને તેમની ઉપર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેઓ નીચે પડી ગયા અને તેમને શરીરના ભાગે ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પોલીસ દ્વારા તાત્કાલિક કારચાલકને પકડી લેવામાં આવ્યો હતો. આરોપી સાથે કારમાં યુવતી પણ હતીકારચાલકનું નામ યશ સોની હોવાનું જાણવા મળ્યું છે શીલજ પાસે આવેલા એક સ્પામાં નોકરી કરે છે અને તેની સાથે ગાડીમાં એક યુવતી પણ હતી, જે તેની સાથે જ સ્પામાં નોકરી કરે છે. કારચાલક યશ પાસે ગાડીનું લાયસન્સ નહોતું જેના કારણે થઈને તેણે પોલીસ રોકશે તેવા ડરના કારણે પુરપાટ ઝડપે ગાડી ચલાવી દીધી હતી. આ મામલે યશ સોની વિરુદ્ધ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:07 pm

ગોડાઉનમાં મૂકેલો સામાન બળીને ખાખ:ફતેગંજના સદર બજારમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ, ફાયરે આગ પર કાબૂ મેળવ્યો

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા સદર બજારમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જોકે, ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને પાણીનો સતત મારો ચલાવી આગ પર ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો. આ આગમાં સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ગોડાઉનમાં ખીચોખીચ રીતે પ્લાસ્ટિકની ડીશો સહિતનો સામાન મૂકાયો હતોશહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા ધવલ દલાલ વિવિધ પ્રકારના પતરાળાંની ડીશનો ધંધો કરે છે. તેમણે સદર બજારમાં આવેલા એક મકાનને સામાન રાખવા માટેનું ગોડાઉન બનાવ્યું છે. આ ગોડાઉનમાં ખીચોખીચ રીતે પ્લાસ્ટિકની વિવિધ ડીશો સહિતનો સામાન મૂકવામાં આવ્યો હતો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા સામાન બળીને ખાખઆજે અચાનક શોર્ટ સર્કિટના કારણે ગોડાઉનમાં આગ લાગી હતી. સામાનના કારણે આગ વધુ વિકરાળ બની હતી. જેની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરાઈ હતી. બદામડી બાગના ફાયર ઓફિસર સહિતનો સ્ટાફ ફતેગંજ સદર બહાર ખાતે પહોંચી ગયો હતો અને પાણીનો સતત મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવાનું શરૂ કર્યું હતું અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગને સફળતા સાપડી હતી. જોકે આગના કારણે કોઈ દાઝ્યું કે પછી કોઈ જાન હાનિ થઈ હોય તેવા સમાચાર મળ્યા નથી. પરંતુ આગથી સામાન બળી જતા વેપારીને વ્યાપક નુકશાન પહોંચ્યું છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:02 pm

વલસાડ સાયબર સેલે રૂ. 3.08 કરોડનું કૌભાંડ ઝડપ્યું:મ્યુલ એકાઉન્ટના કેસમાં બે આરોપીઓની ધરપકડ

વલસાડ સાયબર ક્રાઇમે રાજ્ય સરકારના 'ઓપરેશન હન્ટ' અંતર્ગત મ્યુલ એકાઉન્ટ ઓપરેટ કરતી એક મોટી ટોળકીનો પર્દાફાશ કર્યો છે. અત્યાર સુધીની તપાસમાં કુલ રૂ. 3,08,41,362 ના વ્યવહારો સામે આવ્યા છે, જે સાયબર ફ્રોડના મોટા નેટવર્ક તરફ ઇશારો કરે છે. તાજેતરમાં 4 ફેબ્રુઆરીના રોજ, વલસાડ સાયબર ક્રાઇમની ટીમે બાતમીના આધારે અયુબ કાદિરભાઈ શેખ નામના શખ્સની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે અયુબ કમિશનની લાલચે પોતાના અને તેની પત્નીના નામે વિવિધ બેંકોમાં 15 જેટલા એકાઉન્ટ્સ ખોલાવીને તેનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાં મેળવવા માટે કરતો હતો. અયુબની ઉલટતપાસમાં મિતેશ દીપકભાઈ પટેલ અને તુષાર બાબુભાઈ ઘંટાળા નામના અન્ય બે સાગરીતોના નામ ખુલ્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ બંને શખ્સો પણ કમિશન મેળવીને અન્ય વ્યક્તિઓના નામે મ્યુલ એકાઉન્ટ્સ ચલાવતા હતા. તેમના અત્યાર સુધીમાં વિવિધ બેંકોમાં 40 જેટલા બેંક એકાઉન્ટ્સ મળી આવ્યા છે. હાલ આ બંને આરોપીઓ પોલીસ રિમાન્ડ પર છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર મિલન ઉર્ફે મીલો સુરેશભાઈ વાઘેલા છે. પ્રાથમિક માહિતી મુજબ, મિલન હાલ ભારત બહાર વિદેશમાં હોવાનું મનાય છે. પોલીસ તેને ઝડપી પાડવા માટે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લઈ રહી છે. મ્યુલ એકાઉન્ટ એટલે એવા બેંક ખાતા જેનો ઉપયોગ સાયબર ઠગ્સ ફ્રોડ દ્વારા મેળવેલા પૈસા જમા કરાવવા માટે કરે છે. આવા ખાતાધારકો માત્ર કમિશન માટે પોતાના એકાઉન્ટની વિગતો કે એક્સેસ ઠગોને આપી દેતા હોય છે. વલસાડ પોલીસે આ મામલે વધુ તપાસ તેજ કરી છે. આગામી દિવસોમાં વધુ એકાઉન્ટ્સ તેમજ આ કૌભાંડ સાથે સંકળાયેલા અન્ય મોટા માથાઓ સામે આવે તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:00 pm

સુરત પોલીસ કમિશનર કચેરીમાં સંકલન બેઠક:ઉધના અને સુરત પૂર્વમાં અશાંતધારા અને APMC માર્કેટ બહાર ટ્રાફિકના મુદ્દે ધારાસભ્યો આક્રમક

સુરત શહેરની કાયદો અને વ્યવસ્થા તેમજ માળખાગત સુવિધાઓની સમીક્ષા કરવા માટે આજે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે મહત્વની સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સુરત શહેરના વિવિધ વિસ્તારોના ધારાસભ્યો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં મુખ્યત્વે ઉધના અને સુરત પૂર્વ વિધાનસભા વિસ્તારમાં અશાંતધારાના કડક અમલીકરણ અને શહેરના ટ્રાફિકની જટિલ સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અશાંતધારા અંગે ધારાસભ્ય અરવિંદ રાણાની રજૂઆતસુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ બેઠકમાં અશાંત ધારાના મુદ્દે પોલીસ અને પ્રશાસન સામે આકરા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે રજૂઆત કરી હતી કે, અગાઉ જે મિલકતોના વેચાણ માટે 'મસ્જિદ' હોવાનું જણાવી ઓર્ડર પાસ કરવામાં આવ્યા હતા, ત્યાં વાસ્તવિક તપાસ કરતા કોઈ મસ્જિદ મળી આવી નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ખોટા દસ્તાવેજોના આધારે અશાંત ધારા હેઠળ પરવાનગી મેળવવામાં આવી રહી છે. પોલીસે આ મામલે સ્થળ તપાસ કરી જો અનિયમિતતા જણાશે તો ઓર્ડર રદ કરવાની ખાતરી આપી છે. અંબર કોલોની અને શાંતિકુંજમાં વસ્તી માળખામાં ફેરફારનો મુદ્દોધારાસભ્ય મનુ પટેલે પણ અશાંત ધારા અંગે ગંભીર રજૂઆત કરતા જણાવ્યું હતું કે, અંબર કોલોની અને શાંતિકુંજ સહિતની 4 સોસાયટીઓમાં વસ્તીનું માળખું ઝડપથી બદલાઈ રહ્યું છે. આ વિસ્તારોમાં વિધર્મીઓની વધતી જતી સંખ્યાને કારણે સ્થાનિક રહીશોમાં ભય અને ચિંતાનો માહોલ છે. કલેક્ટર અને પોલીસ કમિશનરે આ રજૂઆતને ગંભીરતાથી લઈ યોગ્ય તપાસ અને નિરાકરણ લાવવા આશ્વાસન આપ્યું હતું. APMC માર્કેટ બહાર ટ્રાફિકની સમસ્યાધારાસભ્ય સંદીપ દેસાઈએ સુરતની જીવાદોરી સમાન APMC માર્કેટની બહાર થતા ટ્રાફિક જામનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, માર્કેટની બહાર વાહનોની લાંબી કતારોને કારણે સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવવી પડે છે. તેમણે માર્કેટ બહાર કાયમી ટ્રાફિક પોઈન્ટ બનાવવાની માંગ કરી હતી. આ સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, માર્કેટની બહારની ટ્રાફિક વ્યવસ્થા માટે તેમની કોઈ સીધી જવાબદારી બનતી નથી છતાં લોકહિતમાં તેમણે આ રજૂઆત કરી છે. કૈલાસ ચોકડી પાસે ટ્રાફિક અને નવા બ્રિજની કામગીરીઆ બેઠકમાં ઉધનાના ધારાસભ્ય મનું પટેલ દ્વારા કૈલાસ ચોકડી પાસે થતા ટ્રાફિક જામ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ વિસ્તારમાં આગામી સમયમાં અંદાજે 72 કરોડના ખર્ચે નવા બ્રિજની કામગીરી શરૂ થવા જઈ રહી છે. ધારાસભ્યોએ ચિંતા વ્યક્ત કરી હતી કે બ્રિજનું કામ શરૂ થતા ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બની શકે છે. આ માટે પોલીસે આગોતરું આયોજન કરી વૈકલ્પિક રૂટ અને પૂરતા ટ્રાફિક પોલીસ જવાનો તૈનાત કરવા જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી. પોલીસ કમિશનરની ખાતરી અને આગામી પગલાંતમામ ધારાસભ્યોની રજૂઆતો સાંભળ્યા બાદ પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, અશાંતધારાના ભંગ બદલ કોઈપણ કસૂરવારને છોડવામાં આવશે નહીં અને વસ્તી ગણતરી તથા સ્થળ તપાસની પ્રક્રિયા વધુ વેગીલી બનાવવામાં આવશે. ટ્રાફિકના પ્રશ્નો માટે મહાનગરપાલિકા સાથે સંકલન સાધીને નવા બ્રિજની કામગીરી દરમિયાન નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે તેવું પ્લાનિંગ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 3:58 pm

ચારુસેટમાં CognizanceX'26 ટેક ફેસ્ટનો પ્રારંભ:બલૂન ઉડાવી સોજીત્રાના ધારાસભ્ય વિપુલ પટેલે ખુલ્લો મૂક્યો

ચારુસેટ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ (FTE) દ્વારા આયોજિત વાર્ષિક ટેકનિકલ ફેસ્ટ ‘CognizanceX'26’નું ગુરુવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કેમ્પસમાં સવારે 10 વાગ્યે યોજાયેલા આ સમારોહમાં સોજીત્રાના ધારાસભ્ય અને CHRFના પ્રમુખ વિપુલ પટેલની ઉપસ્થિતિમાં આકાશમાં બલૂન ઉડાવી ટેક-ફેસ્ટને ખુલ્લો મુકાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં નોલેજ અને ઇનોવેશનના પ્રતીક સમાન વિશેષ સોવેનિયર ‘અધ્યાય’નું લોન્ચિંગ કરાયું હતું. ત્યારબાદ ચારુસેટના પ્રોવોસ્ટ ડૉ. અતુલ પટેલે CognizanceX'26 ના ઔપચારિક પ્રારંભની જાહેરાત કરી હતી. આ પ્રસંગે રજિસ્ટ્રાર ડૉ. બીનિત પટેલ, FTEના ડીન ડૉ. વિજય ચૌધરી સહિત વિવિધ વિભાગોના વડાઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ઉદ્ઘાટન સમારોહમાં ડૉ. બંકિમ પટેલ, ડૉ. તૃષિત ઉપાધ્યાય, ડૉ. અમિત ઠક્કર, ડૉ. નિકિતા ભટ્ટ, ડૉ. પૂર્વી પ્રજાપતિ, ડૉ. વિજય પંચાલ, ડૉ. નિલય પટેલ, ડૉ. નિરવ ભટ્ટ, ડૉ. દ્વિપના ગર્ગ, ડૉ. ચિરાગ પટેલ અને ડૉ. અમિત નાયક પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ફેસ્ટમાં વિવિધ ટેકનિકલ સ્પર્ધાઓ, વર્કશોપ્સ અને પ્રોજેક્ટ પ્રદર્શનો યોજાશે. આ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને તેમની સમસ્યા ઉકેલવાની ક્ષમતા અને સર્જનાત્મકતા દર્શાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડશે. આ ઉત્સવમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે, જે પ્રાયોગિક શિક્ષણ અને સહયોગની ભાવનાને વેગ આપશે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 3:58 pm

સાવરકુંડલામાં ₹1.05 કરોડના જળસંચય પ્રોજેક્ટને મંજૂરી:ચેકડેમ, નદી ઊંડી ઉતારવા અને પૂર સંરક્ષણ દીવાલના કામો થશે

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં જળસંચય અને પૂર સંરક્ષણ માટે ₹1.05 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. આ પ્રોજેક્ટ્સમાં ચેકડેમ નિર્માણ, નદીઓને ઊંડી ઉતારવી અને પૂર સંરક્ષણ દીવાલોના કામોનો સમાવેશ થાય છે. ધારાસભ્ય મહેશ કસવાલાના પ્રયાસોથી આ મંજૂરી પ્રાપ્ત થઈ છે. મંજૂર થયેલા કામોમાં બાઢડા નદીને ઊંડી ઉતારવા માટે ₹37.92 લાખ, શેલણા નદી પર નવો ચેકડેમ બનાવવા માટે ₹28.07 લાખ, ઘાંડલામાં પૂર સંરક્ષણ દીવાલ માટે ₹22.78 લાખ અને મેરીયાણામાં પૂર સંરક્ષણ દીવાલ માટે ₹17.12 લાખનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સથી તાલુકામાં ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે, જેનાથી ખેતી અને પશુપાલનને સીધો લાભ મળશે. આ ઉપરાંત, ચોમાસા દરમિયાન નદીઓમાં આવતા પૂરનું જોખમ ઘટશે અને ખેતરો તેમજ રહેણાંક વિસ્તારોને નુકસાન થતું અટકશે. નદીઓના પુનર્જીવનથી સ્થાનિક પર્યાવરણમાં પણ સુધારો થશે. ધારાસભ્ય મહેશ કસવાલાએ આ વિકાસકાર્યોને સાવરકુંડલા તાલુકા માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યા હતા. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જળસિંચન મંત્રી ઈશ્વરભાઈ પટેલનો તાલુકાની જનતા વતી આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 3:50 pm

મોરબીમાં બેટરીના પાણીની આડમાં દારૂ ઝડપાયો:1248 બોટલ સાથે એક પકડાયો, રાજકોટના શખસની શોધખોળ

મોરબી પોલીસે બેટરીના પાણીની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ખાનગી ટ્રાવેલ્સ બસ દ્વારા લાવવામાં આવેલો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે જુદી જુદી બ્રાન્ડની કુલ 1248 બોટલ દારૂ, એક રિક્ષા સહિત ₹4,57,400 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે રાજકોટના એક શખ્સની શોધખોળ ચાલી રહી છે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ, જેમાં જયદીપ દેવસુર, કિશોર મિયાત્રા અને પૃથ્વીરાજસિંહ જાડેજાનો સમાવેશ થાય છે, પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેમને ખાનગી બાતમી મળી હતી કે વરણીરાજ ખાનગી ટ્રાવેલ્સની બસમાં બેટરીના પાણીના પેકિંગની આડમાં દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે લાતી પ્લોટ શેરી નંબર 6 ના નાકા પાસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, પાર્સલ લોડિંગ માટે ઊભેલી GJ 3 BX 5810 નંબરની રિક્ષા મળી આવી હતી. રિક્ષાચાલક તોફિકભાઈ મહેબૂબભાઈ બુખારી (ઉં.વ. 26, રહે. શક્તિ ચોક, ખાટકીવાસ, મોરબી) ને પોલીસે પૂછપરછ કરી હતી. તેણે રિક્ષામાં રહેલા બોક્સમાં બેટરીનું પાણી હોવાનું જણાવ્યું હતું અને રાધે એન્ટરપ્રાઇઝ, વાપી જીઆઈડીસીનું બનાવટી બિલ રજૂ કર્યું હતું. પોલીસે રિક્ષામાં રહેલા બોક્સની તપાસ કરતા તેમાંથી 18 બોટલ બેટરીનું પાણી અને જુદી જુદી બ્રાન્ડની કુલ 1248 નાની બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ₹4,05,600 ની કિંમતનો દારૂ, ₹1,800 ની કિંમતનું બેટરીનું પાણી અને CNG રિક્ષા સહિત કુલ ₹4,57,400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા આરોપી તોફિકભાઈએ જણાવ્યું હતું કે, રાજકોટના સાહિલ હનીફભાઈ પરમારે આ દારૂનો જથ્થો મંગાવ્યો હતો અને તે તેને ડિલિવરી કરવા જઈ રહ્યો હતો. મોરબી સિટી એ ડિવિઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી, સાહિલ પરમારને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 3:42 pm

સુરતમાં વ્યાજખોરનો કહેર:ઝીંગા વેપારીની પત્નીને ચપ્પુની અણીએ બાનમાં લઈ 35 લાખની પઠાણી ઉઘરાણી કરી, રાંદેર પોલીસે ધરપકડ કરી

સુરત શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતા એક ઝીંગા વેપારી પાસેથી વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા-કરતા ચપ્પુ બતાવી વેપારીની પત્નીને બાનમાં લેનારની રાંદેર પોલીસે ધરપકડ કરી છે. કોરોનાકાળમાં 5 ટકા વ્યાજે આરોપી પાસેથી પૈસા લીધા હતાપાલનપુર પાટિયાની દીનદયાળ સોસાયટીમાં રહેતા 42 વર્ષીય ઝીંગા વેપારી સુશીલ દીનેશ પટેલ આ કેસમાં ભોગ બનનાર છે. વર્ષ 2020માં કોરોનાકાળ દરમિયાન ધંધામાં મોટું નુકસાન જતાં તેમણે આર્થિક મદદ માટે અડાજણના ફાયનાન્સર આનંદ બાલુભાઇ ચાંસીયા (આરોપી) નો સંપર્ક કર્યો હતો. આનંદે 5% માસિક વ્યાજે રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું અને શરત મુજબ સુશીલભાઈએ તેમના વતન ઓલપાડના મંદ્રોઈ ગામની જમીનના કાગળો અને મકાનની કબજા રસીદ સિક્યુરીટી પેટે જમા કરાવ્યા હતા. આ શરતે તેમણે ટુકડે-ટુકડે કુલ રૂ. 51 લાખ વ્યાજે લીધા હતા. પત્નીના દાગીના વેચીને 85 લાખથી વધુની રકમ ચૂકવી હતી2 વર્ષના નિર્ધારિત સમયમાં રૂપિયા પરત ન થતા આરોપી આનંદે અસલી સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું હતું. તે અવારનવાર વેપારીના ઘરે જઈ ગાળાગાળી અને ઉઘરાણી કરતો હતો. સુશીલભાઈએ મિત્રો અને સંબંધીઓ પાસેથી ઉછીના લઈને તેમજ પત્નીના દાગીના વેચીને અત્યાર સુધીમાં કુલ 85 લાખ ચુકવી દીધા હતા તેમછતાં આરોપીની લાલચ સંતોષાઈ નહોતી. તેણે ધાકધમકી આપી વર્ષ 2023માં મંદ્રોઈ ગામની જમીનનો દસ્તાવેજ પોતાના નામે પણ કરાવી લીધો હતો. ત્યારબાદ વર્ષ 2024 સુધીમાં વધુ પૈસા ચૂકવ્યા હતા, જેમાં વતનની જમીન સસ્તા ભાવે વેચીને. 45 લાખ રોકડા અને 10 લાખ આનંદની પત્નીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. પત્નીને ચપ્પુ બતાવી બાનમાં લીધીહદ તો ત્યારે થઈ જ્યારે વેપારીએ મુદ્દલ કરતા વધુ રકમ ચૂકવી દીધી હોવા છતાં આરોપીએ તેના વેપારીને જમીનના કાગળો પરત આપ્યા ન હતા. આરોપી આનંદ સુશીલભાઈના ઘરમાં ઘૂસી ગયો હતો અને તેમની પત્નીને ચપ્પુ બતાવી જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. તેણે 5 વર્ષના બાકી વ્યાજના નામે વધુ 35 લાખની માંગણી કરી આતંક મચાવ્યો હતો. આ ઘટના બાદ વેપારીએ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ખંડણીખોર આરોપી આનંદ ચાંસીયાની ધરપકડ કરી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 3:41 pm

મોરબીમાં આહીર સમાજના 18મા સમૂહલગ્ન યોજાયા:23 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા, મંત્રી મૂળુભાઈ બેરા ઉપસ્થિત રહ્યાં

મોરબી તાલુકાના કોયલી ગામે આહીર સમાજ દ્વારા 18મા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કુલ 23 નવદંપતીઓએ વડીલોના આશીર્વાદ સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. કોયલી ગામે છેલ્લા 17 વર્ષથી આહીર સમાજ દ્વારા સમૂહલગ્ન યોજાય છે. આહીર સમાજના પ્રમુખ રાણાભાઈ હુંબલ અને મોરબી આહીર સમાજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ જીવણભાઈ કુંભારવાડીયાના માર્ગદર્શન હેઠળ આ 18મા સમૂહલગ્નનું આયોજન થયું હતું. કાર્યક્રમમાં રાજકીય આગેવાનો સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. દાતાઓના સહયોગથી આ સમૂહલગ્નનો કાર્યક્રમ સફળ રહ્યો હતો. આયોજકો દ્વારા સમૂહલગ્ન બાદ વધેલા ભંડોળનો ઉપયોગ સમાજની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં કરવામાં આવે છે. આ કાર્ય બદલ કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાએ સમૂહલગ્ન સમિતિની સમગ્ર ટીમને બિરદાવી હતી. મોરબી આહીર સમાજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ જીવણભાઈ કુંભારવાડીયાએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં એક જ મંડપ નીચે આહીર સમાજની 100 દીકરીઓના લગ્ન થાય ત્યારે જ સમૂહલગ્નનું આયોજન સાચા અર્થમાં સફળ થયું ગણાશે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 3:32 pm

બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ અડધો કલાક વહેલા નીકળજો!:વડોદરામાં 72668 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે, 267 કેન્દ્રો પર પરીક્ષા

આગામી 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. વડોદરા શહેર-જિલ્લામાં ધો. 10 અને 12ના 72,668 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વડોદરા શિક્ષણાધિકારી કચેરી ખાતેથી તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે. વડોદરામાં કુલ 267 કેન્દ્રો પર પરીક્ષા યોજવામાં આવશે. 73,000 જેટલ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશેવડોદરામાં બોર્ડની પરીક્ષાની તૈયારીઓ અંગે જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડેએ જણાવ્યું હતું કે, વડોદરામાં અંદાજે 73,000 જેટલ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વિવિધ પરીક્ષા કેન્દ્ર પર હાલમાં તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ અંગે જિલ્લા કલેક્ટર તથા સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. વડોદરામાં ધો.10ના 44,581 અને ધો.12ના 28,087 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ વખતે જિલ્લામાં કરજણ તાલુકામાં એક નવું પરીક્ષા કેન્દ્ર ખોલવામાં આવ્યું છે. અહીંના વિદ્યાર્થીઓએ અગાઉ પરીક્ષા આપવા શિનોર ખાતે જવું પડતું હતું. જેઓને હવે હાલાકી નહી વેઠવી પડે. પરીક્ષા આપવા અડધો કલાક વહેલા નીકળજોજિલ્લા શિક્ષણાધિકારીએ વિદ્યાર્થીઓને અપીલ કરતા જણાવ્યું હતું કે, હાલમાં શહેરમાં વિવિધ સ્થળોએ ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે જેથી મુખ્યમાર્ગો બંધ છે. જેના કારણે વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં ન અટવાય તે માટે ઘરેથી અડધો કલાક વહેલા નીકળવું જરૂરી છે, જેથી સમયસર પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી શકાય. તેઓએ એમ પણ અપીલ કરી હતી કે, વિદ્યાર્થીઓ પરીક્ષાને એક પર્વ તરીકે ઉજવે. રિક્ષા એસોસિએશન પણ વિદ્યાર્થીઓની મદદેવડોદરા શહેરનું રિક્ષા એસોસિએશન પણ વિદ્યાર્થીઓની મદદે આવશે. રિક્ષા એસોસિએશન જિલ્લા શિક્ષણાધિકારીને બાંયધરી આપી છે કે, જે વિદ્યાર્થીઓ અટવાયા હશે અને તેઓને રિસિપ્ટ બતાવશે તો તેઓને પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચાડી આપશે. જેલના 13 કેદીઓ પરીક્ષા આપશેવડોદરા સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા 13 કેદીઓ પરીક્ષા આપશે જેમાં ધો.10માં 9 અને ધો.12ના 4 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેઓ માટે પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. દિવ્યાંગ બાળકો માટે પણ ખાસ વ્યવસ્થાસરકાર દ્વારા દિવ્યાંગ બાળકો માટે આ વર્ષે સમય મર્યાદા વધારવામાં આવી છે તો જે દિવ્યાંગ બાળકો પ્રમાણપત્ર માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો સંપર્ક કરશે તેઓને અધિકારીઓ તેઓના સ્થળે જઈને પ્રમાણપત્ર આપશે એવી પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 3:30 pm

રાજ્ય કક્ષાની ITI સ્ટાફ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ:ગુજરાતની વિવિધ સરકારી ITIના કર્મચારીઓ અને અધિકારીઓની કુલ 27 ટીમો વચ્ચે જામશે જંગ

મહેસાણાના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રાજ્ય કક્ષાની ITI સ્ટાફ ક્રિકેટ ટૂર્નામેન્ટ-2026નો ભવ્ય પ્રારંભ થયો છે. તાલીમ અને રોજગાર ખાતું ગાંધીનગર દ્વારા પ્રેરિત અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITI મહેસાણા તેમજ સ્ટેટ લેવલ ક્રિકેટ કમિટી દ્વારા આયોજિત આ ટૂર્નામેન્ટ 12 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ રમતોત્સવમાં ગુજરાતની વિવિધ સરકારી ITIના કર્મચારીઓ અને અધિકારીઓની કુલ 27 ટીમો પોતાના કૌશલ્યનું પ્રદર્શન કરશે. આઈ.ટી.આઈ.ના સ્ટાફ માટે રાજ્ય કક્ષાનું આયોજન કરાયુંમહેસાણા આઈ.ટી.આઈ.ના આચાર્ય અને તાલીમ તથા રોજગાર વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર અવિનાશ પલાસના જણાવ્યા અનુસાર આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય તાલીમ ક્ષેત્રે જોડાયેલા સ્ટાફમાં ખેલદિલીની ભાવના કેળવવી અને આંતર-સંસ્થાકીય સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. ખાસ કરીને ઇન્ડસ્ટ્રી અને આઈ.ટી.આઈ. જે એકબીજાના પૂરક છે. તેમની વચ્ચેના સંબંધો સુદ્રઢ બને તે હેતુથી આ રાજ્ય કક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પુરુષો-મહિલાઓની અને અધિકારીઓની ટીમો મળી કુલ 27 ટીમો મેદાનમાં ઉતરીઆ પાંચ દિવસીય ડે-નાઈટ ટૂર્નામેન્ટમાં રમતગમતનો અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.જેમાં 16 પુરુષોની ટીમો, 7 મહિલાઓની ટીમો અને 4 અધિકારીઓની ટીમો મળી કુલ 27 ટીમો મેદાનમાં ઉતરી છે. ટૂર્નામેન્ટના અંતે વિજેતા ટીમને ભવ્ય ચેમ્પિયન ટ્રોફી અને રનર્સ-અપ ટીમને પણ ટ્રોફી એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત ભાગ લેનાર તમામ ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે એપ્રિસિએશન આપવામાં આવશે. આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે ખાતાના નિયામક નીતિન સાંગવાન અને મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર રવિન્દ્ર ખટાલે ખાસ ઉપસ્થિત રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.મહેસાણાના રમતપ્રેમીઓ માટે આ ડે-નાઈટ ટૂર્નામેન્ટ આકર્ષણનું કેન્દ્ર બની છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 3:20 pm

વિસલપુર હાઈસ્કૂલમાં ધોરણ 11-12ના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન:CA સંદીપ કામદારે કોમર્સ સ્ટ્રીમની તકો વિશે સમજ આપી

વિસલપુર કેળવણી મંડળ સંચાલિત તલકચંદ ઝબકબા વિસલપુર સાર્વજનિક હાઈસ્કૂલમાં ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ધોરણ 12 પછી કોમર્સ સ્ટ્રીમમાં ઉપલબ્ધ વિવિધ કારકિર્દી વિકલ્પો વિશે માહિતી આપવામાં આવી. આ માર્ગદર્શન અમદાવાદના અરિહંત ઇન્સ્ટિટ્યૂટના સંચાલક અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંદીપ કામદાર દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને કોમર્સ ક્ષેત્રે રહેલી તકો, અભ્યાસક્રમો અને ભવિષ્યની સંભાવનાઓ વિશે વિસ્તૃત સમજ આપી. કાર્યક્રમ દરમિયાન, વિદ્યાર્થીઓએ તેમના મનમાં ઉદ્ભવતા વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. સંદીપ કામદારે આ તમામ પ્રશ્નોનું સચોટ અને વ્યવહારુ માર્ગદર્શન આપી તેમની મૂંઝવણો દૂર કરી હતી.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 3:17 pm

મંત્રી જીતુ વાઘાણીએ સાળંગપુર ધામની મુલાકાત લીધી:દાદાના દર્શન કરી પૂજા-અર્ચના કરી ધજા ચઢાવી

કેબિનેટ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીએ આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે દાદાના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. મંત્રી વાઘાણીએ શ્રીકષ્ટભંજનદેવ દાદાના ચરણોમાં શીશ ઝુકાવી ભાવપૂર્વક દર્શન કર્યા હતા. તેમણે શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-અર્ચના કરી મંદિરના શિખર પર ધજા ચઢાવીને ધન્યતા અનુભવી હતી. આજે, તારીખ ૧૩-૦૨-૨૦૨૬, શુક્રવાર અને એકાદશીના પવિત્ર અવસરે શ્રીકષ્ટભંજનદેવ દાદાને અત્યંત દિવ્ય અને મનમોહક વાઘાનો શણગાર ધરાવવામાં આવ્યો હતો. વહેલી સવારે ૫:૪૫ કલાકે મંદિરના પૂજારી સ્વામી દ્વારા દાદાની શણગાર આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે સાળંગપુર મંદિરના કોઠારી વિવેકસાગરદાસ સ્વામી (અથાણાવાળા) એ જીતુ વાઘાણીને ફૂલહાર પહેરાવી, રક્ષાસૂત્ર બાંધીને મંગલ આશીર્વાદ પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 3:15 pm

સિલ્વર ઓક યુનિવર્સિટીની અંજની હલાઈ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ત્રીજા સ્થાને:IIT ગાંધીનગર ખાતે બાયો-એબ્સ્ટ્રેક્ટ રાઇટિંગમાં મેળવી સિદ્ધિ

સિલ્વર ઓક યુનિવર્સિટીની ‘સિલ્વર ઓક ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ’ના માઇક્રોબાયોલોજી વિભાગની વિદ્યાર્થીની અંજની હલાઈએ રાજ્યકક્ષાની 'બાયો-એબ્સ્ટ્રેક્ટ રાઇટિંગ' સ્પર્ધામાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સ્પર્ધા IIT ગાંધીનગર ખાતે યોજાઈ હતી. આ પ્રતિષ્ઠિત સ્પર્ધા '૩૬મી ગુજરાત ઇન્ટિગ્રેટેડ બાયો નેટવર્ક' (GiBioN) અંતર્ગત આયોજિત કરવામાં આવી હતી. તેનું સંયુક્ત આયોજન ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન (GSBTM), ગુજરાત સરકાર અને માઇક્રોબાયોલોજી સ્ટડી સર્કલ, નડિયાદ દ્વારા કરવામાં આવ્યું હતું. રાજ્યભરના સંશોધકો અને વિદ્યાર્થીઓ વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં અંજની હલાઈએ પોતાની વૈજ્ઞાનિક વિચારધારા અને લેખન કૌશલ્યનો ઉત્કૃષ્ટ પરિચય આપ્યો હતો. તેમની આ સિદ્ધિ બદલ સિલ્વર ઓક યુનિવર્સિટીના પ્રાધ્યાપકગણ અને શૈક્ષણિક સમુદાયે તેમને અભિનંદન પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 3:13 pm

દ્વારકામાં 50 કિલો ગૌમાંસ ઝડપાયું:હિન્દુ સંગઠનો અને સાધુ-સંતોની રેલી, પ્રાંત અધિકારીને આવેદનપત્ર

પવિત્ર યાત્રાધામ દ્વારકા નજીક રૂપેણ બંદર વિસ્તારમાંથી અંદાજે 50 કિલો ગૌમાંસ સાથે ત્રણ શખ્સોને દ્વારકા પોલીસે ઝડપી પાડ્યા હતા. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ગૌપ્રેમીઓમાં આક્રોશ ફેલાયો હતો. તેના વિરોધમાં આજે સવારે 11 વાગ્યે દ્વારકાના રબારી ગેટથી પ્રાંત અધિકારી (SDM) કચેરી સુધી હિન્દુ સંગઠનો, સાધુ-સંતો અને સ્થાનિકોએ શાંતિપૂર્ણ રેલી યોજી આવેદનપત્ર સુપરત કર્યું. રેલી દરમિયાન વક્તાઓએ યાત્રાધામમાં ગૌહત્યા જેવી પ્રવૃત્તિઓને અતિ ગંભીર ગણાવી હતી. તેમણે આવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી. સાધુ-સંતોએ જણાવ્યું કે ગૌહત્યારાઓ સામે દૃષ્ટાંતરૂપ પગલાં લેવાં જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. પ્રશાસન તાત્કાલિક અને કડક કાર્યવાહી કરે તેવી પણ માગણી કરવામાં આવી હતી. આવેદનપત્રમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવાની, આરોપીઓને કડક સજા આપવાની તેમજ યાત્રાધામ વિસ્તારમાં ચાલી રહેલી માંસ અને ઈંડાની દુકાનો બંધ કરાવવા અંગે રજૂઆત કરવામાં આવી છે. જો આ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન હાથ ધરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 3:12 pm

ભાવનગર ગુરુકુળમાં જ્ઞાન મહોત્સવ ક્વિઝ સ્પર્ધા:ધોરણ 5 થી 9ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો, વિજેતા સન્માનિત

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સરદારનગર, ભાવનગરના સ્પેશિયલ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના જ્ઞાન અને કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે 'જ્ઞાન મહોત્સવ' ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થના દ્વારા થયો હતો. આ ક્વિઝ સ્પર્ધામાં સામાન્ય જ્ઞાન (GK), વિજ્ઞાન અને ટેકનોલોજી, ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને જ્ઞાન, વર્તમાન પ્રવાહો, રમત જગત તેમજ ઓડિયો રાઉન્ડ જેવા વિવિધ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. શાળાના ધોરણ 5 થી 9ના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધા દરમિયાન સમય મર્યાદાનું ધ્યાન રાખવામાં આવ્યું હતું અને પ્રેક્ષકોને પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેના કારણે માહોલ રોમાંચક બન્યો હતો. ફાઇનલ રાઉન્ડમાં પહોંચેલી ટીમો વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી. ગુરુકુળ દ્વારા આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા અને તેમના બૌદ્ધિક વિકાસના હેતુથી સતત યોજવામાં આવે છે. સ્પર્ધાના અંતે વિજેતા થયેલા વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ પેટલે સન્માનિત કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 3:12 pm

VNSGU વિદ્યાર્થીઓએ 'રાઈટિંગ ડિવાઈસ'નું પેટન્ટ મેળવ્યું:આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે ઉપયોગી નવીન ટેક્નોલોજી વિકસાવી

સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)ના ICT વિભાગના વિદ્યાર્થીઓએ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે ઉપયોગી એક નવીન ટેક્નોલોજી વિકસાવી છે. 'પ્રેશર-સેન્સિટિવ અસિસ્ટિવ રાઈટિંગ ડિવાઈસ' નામના આ પ્રોજેક્ટનું ડિઝાઇન પેટન્ટ ક્લાસ 19-06 હેઠળ સત્તાવાર રીતે નોંધવામાં આવ્યું છે. આ સિદ્ધિ યુનિવર્સિટીના સંશોધન અને નવીનતા પ્રત્યેના દ્રઢ અભિગમને દર્શાવે છે. આ ડિઝાઇનની નોંધણી તમન્ના શાહ, ખુશનાઝ ડુમસિયા, ખુશી શાહ, કૃષ્ણ નડિયાદરા, વ્રજ સુરતવાલા અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના નામે કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ આ સમગ્ર પ્રોજેક્ટ ડૉ. હિતેશકુમાર લાડના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે, જેમાં સંકલ્પનાથી લઈને સંશોધન, ડિઝાઇન, પ્રોટોટાઇપ વિકાસ, પરીક્ષણ અને પેટન્ટ નોંધણી સુધીની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. આ ઉપકરણ ખાસ કરીને હાથ અથવા પેશીની ઇજા બાદ સારવાર લઈ રહેલા દર્દીઓ માટે અત્યંત ઉપયોગી થઈ શકે છે. ઉપરાંત, પાર્કિન્સન્સ જેવી સ્નાયુ-સંબંધિત બીમારીઓ ધરાવતી વ્યક્તિઓ તેમજ ડિસ્લેક્સિયા અને ડિસ્ગ્રાફિયા જેવી સમસ્યાઓ ધરાવતા બાળકોને પણ તેનાથી લાભ થશે. આ ઉપકરણ લેખન દરમિયાન થતા સૂક્ષ્મ ફેરફારોનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરીને વ્યક્તિગત માર્ગદર્શન પૂરું પાડે છે. આ ડિવાઈસમાં એક વિશિષ્ટ લેખન સપાટી અને કેમેરા સિસ્ટમનો સમાવેશ થાય છે. તે લખાણની તસ્વીરો કૅપ્ચર કરીને AI આધારિત મોડલ દ્વારા તેનું વિશ્લેષણ કરે છે. આ સિસ્ટમ લખાણમાં રહેલી ભૂલો, અક્ષરોની રચના અને ગોઠવણીનું મૂલ્યાંકન કરીને વધુ પ્રેક્ટિસ માટે સૂચનો આપે છે. આ માહિતી મોબાઇલ એપ્લિકેશન સાથે સંકલિત હોવાથી વપરાશકર્તાની પ્રગતિનું નિરીક્ષણ સરળ બને છે. વધુમાં, ઉપકરણમાં પ્રેશર સેન્સર યુક્ત એક વિશેષ પેન છે, જે લખતી વખતે લાગતા દબાણને રિયલ ટાઈમમાં માપે છે. આ સુવિધા હાથની પેશીઓની શક્તિ અને નિયંત્રણ અંગે મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડે છે. એકત્રિત થયેલા આંકડાઓ ગ્રાફ સ્વરૂપે દર્શાવવામાં આવતા હોવાથી તુલનાત્મક વિશ્લેષણ શક્ય બને છે. આ પ્રોજેક્ટને ગુજરાત સરકારની SSIP 2.0 યોજના હેઠળ આર્થિક સહાય પ્રાપ્ત થઈ હતી. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ યુનિવર્સિટીના ગૌરવમાં વધારો કરે છે અને આરોગ્ય તેમજ શિક્ષણ ક્ષેત્રે ટેક્નોલોજી આધારિત સશક્તિકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 3:10 pm

અમદાવાદના શહીદ જવાનને દિલ્હીમાં ગાર્ડ ઓફ ઓનર:કેપ્ટન નિલેશ સોની 39 વર્ષ પહેલાં સિયાચિનમાં પાકિસ્તાન સામે લડતાં શહીદ થયા હતા; પરિવારને દિલ્હી આમંત્રણ

અમદાવાદના શહીદ જવાન કેપ્ટન નિલેશ સોનીને તેમના શહીદ દિન 12 ફેબ્રુઆરી નિમિત્તે દિલ્હીના વોર મેમોરિયલ ખાતે આર્મી દ્વારા સન્માન આપવામાં આવ્યું હતું. જેમાં તેમના મોટાભાઈ જગદીશભાઈ સોની અને પરિવારને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમના પરિવારે કેપ્ટન નિલેશ સોનીને વોર મેમોરિયલ ખાતે ગૌરવપૂર્ણ શ્રદ્ધાંજલી આપી હતી. અમદાવાદના રહેવાસી હરજીવન ચતુર્ભુજ સોની તથા કલાવતી બેન સોનીના પુત્ર કેપ્ટન નિલેશ સોની સિયાચિનની રણભૂમિમાં પાકિસ્તાન સામે લડતાં લડતાં 'ઓપરેશન મેઘદૂત' વખતે 12 ફેબ્રુઆરી 1987એ શહીદ થયા હતા. 12 ફેબ્રુઆરી 2026 વીર શહીદ કેપ્ટન નિલેશ સોનીના 39મા શહીદ દિવસ નિમિતે ભારતીય લશ્કર દ્વારા ઈન્ડિન આર્મીએ અનોખું બહુમાન કર્યું હતું. દિલ્હી સ્થિત નેશનલ વોર મેમોરિયલ ખાતે વિશિષ્ટ સન્માનના ભાગ રૂપે ગાર્ડ ઓફ ઓનર દ્વારા તેમની વીરતા યાદ કરવામાં આવી હતી. આ પ્રસંગે શહીદના ભાઈ જગદીશભાઈ સોની અને પરિવારના સભ્યો તથા ઉપસ્થિત નાગરિકોની હાજરીમાં અભૂતપૂર્વ સલામી અર્પણ કરવામાં આવી હતી. 12 ફેબ્રુઆરી 2026નો સમી સાંજનો સૂરજ, રાષ્ટ્ર , પ્રજા ધર્મની સલામતી અને સુરક્ષા માટે 1947થી 2025સુધી પોતાના મહામુલા પ્રાણ ન્યોછાવર કરનાર 25,800 વીર શહીદો ની વીરતાને યાદ કરતા નેશનલ વોર મેમોરિયલ ને સૂરજ પોતાના ઢળતા કિરણોથી પુષ્પાંજલિ અર્પણ કરી આથમવાની તૈયારીમાં હતો. એ વખતે ભારતીય લશ્કરના ગોરખા રેજિમેન્ટના બહાદુર સૈનિકો ગુજરાતના વીર શહીદ કેપ્ટન નિલેશ સોની જેમણે સિયાચીન રણભૂમિમાં પાકિસ્તાની સેના સામે લડતા 12 ફેબ્રુઆરી 1987ના રોજ વીરગતિ પ્રાપ્તિ કરી હતી,તેમની વીરતાને ગાર્ડ ઓફ ઓનર દ્વારા અભૂતપૂર્વ સલામી અર્પણ કરી રહ્યા હતા.આ અતિ દેશભક્તિ કારક્રમમાં શહીદના ભાઈ જગદીશ સોની અને પરિવારની હાજરીમાં સલામી અર્પણ કરી ત્યારે ઉપસ્થિત જનમેદનીના વીર શહીદ કેપ્ટન નિલેશ સોની અમર રહોના નારાથી ગગન ગુંજી ઉઠ્યું હતું. કોણ હતા શહીદ કેપ્ટન નિલેશ સોની? અમદાવાદના સોની પરિવારમાં જન્મેલા નિલેશ સોની દેશપ્રેમને કારણે આર્મીમાં જોડાયા. 9મી જૂન 1984ના રોજ તેમને આર્ટિલરીની 62 ફિલ્ડ રેજિમેન્ટમાં સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નાશિકમાં દેવલાલી ખાતે એક વર્ષની સેવા પૂરી કર્યા પછી તેમને લેફ્ટનન્ટ તરીકે બઢતી આપવામાં આવી અને પછીથી તેમનું યુનિટ સાથે કારગિલ વિસ્તારમાં સ્થળાંતર થયું. કેપ્ટન નિલેશ સોનીને ડિસેમ્બર 1986માં સિયાચીન ગ્લેશિયરમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું. 1987ની શરૂઆતમાં તેઓ પ્રતિકૂળ હવામાન વચ્ચે સિયાચીન ગ્લેશિયરમાં ફરજ બજાવી રહ્યા હતા ત્યારે કેપ્ટન નિલેશ સોની અને તેમના સૈનિકોને દુશ્મન તરફથી અવારનવાર ગોળીબારનો સામનો કરવો પડતો હતો. 12મી ફેબ્રુઆરી, 1987ની મધ્યરાત્રિની આસપાસ કેપ્ટન નિલેશ અને તેના સૈનિકોને તેમના નિયંત્રણ હેઠળના વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ દેખાઈ અને યુદ્ધ થયું. ભારે તોપમારાથી હિમપ્રપાત થયો, જે ભારતીય દળો માટે ખૂબ જ ઘાતક સાબિત થયો. કેપ્ટન નિલેશ સોની બરફની ભેખડ નીચે દબાઈ ગયા અને 12 ફ્રેબ્રુઆરી 1987ના દિવસે શહીદ થયા.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 3:08 pm

પંચમહાલ LCBએ ભંગારની આડમાં દારૂ ઝડપ્યો:ગોધરાના મહુલીયા ગામેથી લાખોનો વિદેશી દારૂ જપ્ત, બે આરોપી પકડાયા

પંચમહાલ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ મોટી કાર્યવાહી કરી છે. ગોધરા તાલુકાના મહુલીયા ગામ પાસે ભંગાર ભરેલી એક મારૂતિ વાનમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે નાકાબંધી કરીને આ નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. પંચમહાલ ગોધરા રેન્જ આઈ.જી. સંદીપ સિંગ અને પોલીસ અધિક્ષક ડૉ. હેશરાભાઈ દુધાતની સૂચના હેઠળ એલ.સી.બી. પી.આઈ. એન.એલ. દેસાઈના માર્ગદર્શનમાં ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે એક મારૂતિ વાન (GJ-16-AP-6163) માં ભંગારની આડમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે. આ બાતમીના આધારે પોલીસે મહુલીયા ગામ પાસે આવેલા નાયરા પેટ્રોલ પંપ નજીક વોચ ગોઠવી હતી. શંકાસ્પદ વાન આવતા તેને અટકાવવામાં આવી હતી. વાનની તલાશી લેતા પ્લાસ્ટિકના ભંગારની નીચેથી વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ ₹૩,૬૫,૩૧૬/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં ₹૨,૬૦,૩૧૬/- ની કિંમતના ૧૧૧૬ નંગ ક્વોટરિયા અને બીયર ટીન, ₹૧,૦૦,૦૦૦/- ની કિંમતની મારૂતિ વાન, તેમજ મોબાઈલ ફોન અને ભંગારનો સામાન શામેલ છે. આ કેસમાં પોલીસે સ્થળ પરથી બે આરોપીઓની ધરપકડ કરી છે. તેમની ઓળખ અસરફ શોકત ભોલા (રહે. વેજલપુર, કાલોલ) અને તૌસીફ હુસેન સુધીયા (રહે. રહેમત નગર, ગોધરા) તરીકે થઈ છે. આ ઉપરાંત, તૌફીક જાડી (રહે. ગોધરા) ને સહ-આરોપી તરીકે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ સફળ કામગીરીમાં એલ.સી.બી. ગોધરાના એ.એસ.આઈ. દિગ્પાલસિંહ, હેડ કોન્સ્ટેબલ દેહજીભાઈ, વિક્રમભાઈ, ભુપેન્દ્રસિંહ, તેમજ પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહ, અલ્પેશભાઈ અને નરેશકુમાર સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 3:07 pm

સમી કોલેજમાં નાણાંકીય જાગૃતિ પર દ્વિ-દિવસીય કાર્યશાળા:વિદ્યાર્થીઓને બચત, રોકાણ અને e-KYC વિશે માર્ગદર્શન મળ્યું

સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, સમીના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા 11 અને 12 ફેબ્રુઆરીના રોજ 'નાણાંકીય જાગૃતિ અને ઉપભોક્તા તાલીમ' વિષય પર દ્વિ-દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં નાણાંકીય સમજ કેળવી તેમને આર્થિક આયોજન માટે સક્ષમ બનાવવાનો હતો. કૉલેજના આચાર્ય ડૉ. ટી.પી. આનંદના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સફળ રહ્યો. કાર્યક્રમના પ્રથમ દિવસે, અર્થશાસ્ત્ર વિભાગના ઈનચાર્જ અધ્યક્ષ વિજય જોષીએ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરી કાર્યશાળાની રૂપરેખા આપી હતી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર અને SEBI પ્રમાણિત ટ્રેનર ડૉ. રિદ્ધિ અગ્રવાલનું ડૉ. ખુશ્બુ મોદી દ્વારા સ્વાગત કરાયું હતું. જાફરી આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ, સેદ્રાણાના ઈનચાર્જ આચાર્ય અને SEBI ટ્રેનર ડૉ. સિદ્ધિ અગ્રવાલનું ડૉ. જાગૃતિ પ્રજાપતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. બે દિવસના વિવિધ સત્રોમાં, બંને નિષ્ણાત વક્તાઓએ વિદ્યાર્થીઓને બચતનું મહત્વ, સુરક્ષિત રોકાણના વિવિધ વિકલ્પો અને શેરબજારની પાયાની સમજ વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આજના ડિજિટલ યુગમાં અનિવાર્ય એવા e-KYC જેવી ટેકનિકલ બાબતો પર પણ વિગતવાર પ્રકાશ પાડ્યો હતો. વક્તાઓએ સમજાવ્યું કે બચત એ માત્ર પૈસા રોકવા નથી, પણ ભવિષ્ય સુરક્ષિત કરવાની કળા છે. વિદ્યાર્થીઓએ આર્થિક છેતરપિંડીથી બચવા અને જાગૃત ઉપભોક્તા બનવા અંગેના પ્રશ્નો પૂછી સચોટ માર્ગદર્શન મેળવ્યું હતું. આ કાર્યક્રમમાં IQAC કો-ઓર્ડીનેટર ડૉ. ચેતન પ્રજાપતિ અને વરિષ્ઠ પ્રાધ્યાપક સંજય પટેલે હાજર રહી વિદ્યાર્થીઓને આવા કૌશલ્યલક્ષી કાર્યક્રમોનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યશાળાનું સંચાલન ઈશ્વર ચૌધરીએ કર્યું હતું. આ કાર્યશાળા વિદ્યાર્થીઓ માટે ભવિષ્યના સફળ આર્થિક આયોજન માટે પ્રેરણાદાયી સાબિત થઈ હતી.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 3:07 pm

નશામાં ધૂત કારચાલકને મહિલાએ ફડાકો ઝીંક્યો:‘શરમ આવે છે કે નહિ, મારા છોકરાને કઈ થયું હોત તો...’, કારમાંથી દારૂ મળ્યો, ગાંધીનગરમાં પરિવાર મરતા-મરતા બચ્યો

ગાંધીનગરમાં ફરી એકવાર બેફામ ડ્રાઇવિંગ અને નશાના કારણે નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મુકાયા હોવાની ઘટના સામે આવી છે. શહેરના સિટી પલ્સ રોડ પર ઊર્જાનગર-1ની સામે સુયશ સ્ટેટસ પાસે એક બેફામ ગતિએ આવતી ટાટા નેક્સન કારે રોડની સાઈડમાં ઊભેલી આઈ-20 કારને જોરદાર ટક્કર મારતા કાર દૂર ફંગોળાઈ ગઈ હતી. આ અકસ્માતમાં સદનસીબે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ ઘટનાને પગલે ભોગ બનનાર મહિલાએ કારચાલકને સણસણતો તમાચો ચોડી દઈ ઉધડો લઈ નાખ્યો હતો. થોડી સેકન્ડોની ચૂક થઈ હોત તો યુવક કચડાઈ ગયો હોતપ્રાપ્ત વિગતો અનુસાર, એક પરિવાર પોતાની આઈ-20 કારમાં ખરીદી કરવા નીકળ્યો હતો. ત્યારે રસ્તા પર ગાડી ઊભી રાખી પતિ જ્યારે કારની પાછળની ડેકીમાં સામાન ગોઠવી રહ્યો હતો, ત્યારે જ પાછળથી કાળ બનીને આવેલી ટાટા નેક્સન કારે ધડાકાભેર ટક્કર મારી હતી. આ સમયે કારમાં મહિલા અને નાનું બાળક પણ બેઠેલા હતા. આ ટક્કર એટલી ભયાનક હતી કે જો થોડી પણ સેકન્ડોની ચૂક થઈ હોત તો સામાન મૂકી રહેલો યુવક બંને કાર વચ્ચે કચડાઈ ગયો હોત. આ અકસ્માત સર્જાયા બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. મહિલાએ કારચાલકને ખખડવી, તમાચો ઝીંક્યોત્યારે સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, આ ભીડભાડ વાળા રોડ પર નેક્સન કારચાલક બેફામ ગતિએ ગાડી હંકારી રહ્યો હતો. અકસ્માત બાદ જ્યારે મહિલા કારની બહાર આવી ત્યારે મોતને નજરે જોયાના આઘાતમાં તેણે બેફામ કારચાલકને સણસણતો તમાચો ચોડી દીધો હતો. કારમાંથી દારૂની બોટલ પણ મળીસ્થાનિકો દ્વારા બનાવવામાં આવેલા વીડિયોમાં કારમાંથી પ્લાસ્ટિકની શંકાસ્પદ બોટલ મળી આવી હતી, જેમાં દારૂ હોવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસની પીસીઆર વાન તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે કારમાંથી શંકાસ્પદ પીણું ભરેલી બોટલો કબજે કરી હતી અને અકસ્માત સર્જનાર ચાલકને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જોકે, આ સમગ્ર મામલે પોલીસ ચોપડે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી. ભેદી સંજોગોમાં બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જતાં કાયદેસરની કાર્યવાહી કરાઈ નથી. થોડા મહિના પહેલાં હિતેશ પટેલે બેફામ ગાડી હંકારી મોતનો તાંડવ કર્યો હતોસ્થાનિકોનું કહેવું છે કે, અત્રેના વિસ્તારમાં થોડા મહિના પહેલાં હિતેશ પટેલે બેફામ ગાડી હંકારી મોતનો તાંડવ કર્યો હતો. એ સમયે તંત્રે દ્વારા અત્રેના સાંકડા રસ્તા પરના દબાણો અને આડેધડ પાર્કિંગ સામે કાર્યવાહી કરવાની ખાત્રી અપાઈ હતી, તેમ છતાં અહીં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. 11 ફેબ્રુઆરી, 2026: ધો.12નો વિદ્યાર્થી સ્કૂલમાં 'રોલો' પાડવા અમદાવાદથી થાર ભાડે લાવ્યો, બાઈકચાલકને ફૂટબોલની જેમ ઉલાળ્યો, CCTV કલોલના સર્વિસ રોડ પર બે દિવસ પહેલા જ એક યુવકની મોજમસ્તીએ નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. સંસ્કૃતિ મૂવીપ્લેક્સ સામે સર્જાયેલા આ ભયાનક અકસ્માતમાં એક બેફામ થાર ગાડીએ રિક્ષા અને બાઈક સહિત ત્રણ વાહનોનો કચ્ચરઘાણ વાળી દીધો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ અકસ્માત સર્જનાર કોઈ રીઢો ગુનેગાર નહીં પણ ધો. 12માં ભણતો એક વિદ્યાર્થી હતો. આ વિદ્યાર્થી સ્કૂલમાં 'રોલો' પાડવા અમદાવાદથી થાર ભાડે લાવ્યો હતો. બાદમાં ત્રણેય મિત્રોએ નજીકના પેટ્રોલ પંપ પરથી ઈંધણ પૂરાવ્યું અને ગાડી પૂરપાટ ઝડપે દોડાવી રિક્ષા સહિત ત્રણ વાહનને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈકચાલક ફૂટબોલની જેમ હવામાં ઉછળ્યો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર)

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 3:05 pm

પાલનપુરમાં અજાણ્યા વાહનની ટક્કરે વિદ્યાર્થીનું મોત:મેડિકલ કોલેજનો યુવક મૃત્યુ પામ્યો, એક ઘાયલ

પાલનપુરના હનુમાન ટેકરી વિસ્તારમાં મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહનની ટક્કરે મેડિકલ કોલેજના એક વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવક ઘાયલ થયો હતો. મૃતક યુવક પાલનપુરના મોરિયા સ્થિત મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો અને સૌરાષ્ટ્રનો વતની હતો. ઘાયલ યુવકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસ સૂત્રો અનુસાર, બાઈક પર સવાર આ બંને યુવકોને એક અજાણ્યા ટ્રકે ટક્કર મારી હતી. અકસ્માત સર્જીને ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતક યુવકના મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 3:03 pm

રાહી ફાઉન્ડેશને મણિનગરમાં વડીલોનું વૃંદાવન યોજના લોન્ચ કરી:વિદેશમાં વસતા સંતાનોના માતા-પિતાની સારસંભાળ માટે પહેલ

રાહી ફાઉન્ડેશન દ્વારા મણિનગરના હર્ષદરાય પરીખ કોમ્યુનિટી હોલ ખાતે વડીલોનું વૃંદાવન યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ યોજના વિદેશમાં વસતા સંતાનોના એવા માતા-પિતા માટે છે જેઓ ભારતમાં એકલા રહે છે. આ કાર્યક્રમમાં જાણીતા સામાજિક આગેવાનો અને મનોચિકિત્સક ડો. પ્રશાંત ભીમાણી, રમેશ તન્ના, પ્રમોદ શાહ, નમ્રતા શોધન, સરોજ જોશી, મૌલિક ગાંધી, ચિરાગ નંદવાણી, રિકીન શાહ, જયેશ પરીખ, નિહારિકા પરીખ, જયેશ શાહ, ભદ્રેશ પટેલ, સમિત શાહ, સ્નેહા શાહ, બીના શાહ, અલ્પા શાહ, માલા પરીખ, મલય શાહ, પ્રિતેશ શાહ, દિલીપ નાયલા અને ટીમ રાહીના અગ્રણી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ડો. પ્રશાંત ભીમાણીએ વાર્ધક્યના વધામણા વિષય પર કી-નોટ એડ્રેસ આપ્યું હતું. સંસ્થાના અધ્યક્ષ જયેશ પરીખે રાહી ફાઉન્ડેશનની લોકોપયોગી પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કર્યો હતો. અશોક દલાલે સ્વાગત પ્રવચન આપ્યું હતું, જ્યારે મહેન્દ્ર પટેલે આભાર વિધિ કરી હતી. કાર્યક્રમ ભોજન સાથે સંપન્ન થયો હતો. રાહી પરિવાર, ટીમ રાહી, IDFC FIRST BANK અને ઉપસ્થિત NRI માતા-પિતાનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 3:02 pm

જામનગરમાં રેલવે નોટિસ સામે વિરોધ:હનુમાન ટેકરી વિસ્તારના રહેવાસીઓની પોલીસ દ્વારા અટકાયત

જામનગરમાં હનુમાન ટેકરી સહિતના વિસ્તારોમાં રેલવે તંત્ર દ્વારા જમીન ખાલી કરવા માટે અપાયેલી નોટિસના વિરોધમાં આજે બીજા દિવસે પણ સ્થાનિકોનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. વિરોધ પક્ષના કોર્પોરેટર રાહુલ બોરીચાની આગેવાની હેઠળ મહાનગરપાલિકા કચેરીએ એકઠા થયેલા સંખ્યાબંધ લોકોની પોલીસે અટકાયત કરી હતી. રેલવે તંત્રએ દિગજામ સર્કલ નજીક હનુમાન ટેકરી અને આસપાસની સોસાયટીઓને છેલ્લા બે દિવસથી નોટિસ પાઠવી છે. આ નોટિસમાં જમીન રેલવેની માલિકીની હોવાનું જણાવી સાત દિવસમાં જગ્યા ખાલી કરવા આદેશ કરાયો છે. આ નોટિસના પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો. ગત રાત્રિએ મહિલાઓ સહિતના લોકોના ટોળા એકઠા થઈ સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેક્ટરના બંગલા તરફ કૂચ કરી હતી. જોકે, પોલીસે તેમને અટકાવી આજે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા સમજાવ્યા બાદ લોકો પરત ફર્યા હતા. આજે ફરીથી લાલ બંગલા સર્કલ પાસે લોકો એકઠા થયા હતા. વિરોધ પક્ષના કોર્પોરેટર રાહુલ બોરીચાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં લોકો મહાનગરપાલિકા કચેરીના પટાંગણમાં પહોંચ્યા હતા અને કમિશનરને મળવાની જીદ પકડી હતી. મ્યુનિસિપલ કમિશનર નીચે આવીને મળે તેવી માંગણી સાથે સૂત્રોચ્ચાર કરતા પોલીસ દ્વારા કોર્પોરેટર રાહુલ બોરીચા સહિત અનેક નાગરિકોની અટકાયત કરવામાં આવી હતી. બે બસ ભરીને સ્થાનિકોને પોલીસ બસમાં બેસાડવામાં આવ્યા હતા, જેથી અન્ય ટોળા વિખેરાઈ ગયા હતા. જોકે, પોલીસ તંત્ર દ્વારા તમામને મોડેથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા, પરંતુ રેલવેની નોટિસના મામલે આગળ શું થાય છે તેના પર સૌની નજર છે. પોલીસ તંત્ર પણ આ મામલે એલર્ટ મોડમાં છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 3:02 pm

પ્રાયોજના વહીવટદાર નિશાકુમારીએ અટાલી આશ્રમ શાળાની મુલાકાત લીધી:શૈક્ષણિક ગુણવત્તા અને સુવિધાઓની સમીક્ષા કરી

ભરૂચ જિલ્લાના પ્રાયોજના વહીવટદાર નિશાકુમારી (આઈએએસ) એ અટાલી આશ્રમ શાળાની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને મળતી પાયાની સુવિધાઓ, શાળાની શૈક્ષણિક ગુણવત્તા, આરોગ્ય અને ભોજન વ્યવસ્થાની સમીક્ષા કરવાનો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામ્ય કક્ષાએ પાયાની સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેમાં શિક્ષણ ક્ષેત્રને વિશેષ પ્રાધાન્ય અપાય છે. છેવાડાના ગામોની આશ્રમશાળાઓ અને પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક સ્તરને ઊંચું લાવવા તથા ભૌતિક સુવિધાઓને મજબૂત બનાવવા તંત્ર કટિબદ્ધ છે. પ્રાયોજના વહીવટદારે વર્ગખંડોમાં જઈ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓના જ્ઞાન સ્તર અને આત્મવિશ્વાસ જોઈ સંતોષ વ્યક્ત કર્યો હતો. ભોજનશાળાની મુલાકાત દરમિયાન પીરસાતા ભોજનની ગુણવત્તાની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને આદિજાતિ વિભાગની વિવિધ યોજનાઓનો લાભ મળે તે માટે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મુલાકાત દરમિયાન શાળાના મકાનો જર્જરિત છે કે કેમ તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત, સ્વચ્છતા વ્યવસ્થાની પણ સમીક્ષા કરાઈ હતી. મુલાકાતના અંતે, નિશાકુમારીએ જણાવ્યું હતું કે, અટાલી આશ્રમ શાળાનું વાતાવરણ બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે અનુકૂળ છે. તેમણે ખૂટતી સુવિધાઓ પૂર્ણ કરવા સંસ્થાને બાંહેધરી આપી હતી. આ મુલાકાતથી શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો સંચાર થયો હતો. પ્રાયોજના વહીવટદારે શાળામાં રહેલી સુવિધાઓની ખામીઓની ચકાસણી કરી તેને દૂર કરવા જરૂરી પગલાં લેવા સૂચનાઓ આપી હતી.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 2:58 pm

દ ઇન્વિન્સિબલ્સ 2026 સફળ, 400 વિદ્યાર્થીઓ જોડાયા:વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં મેનેજમેન્ટ બૂટકેમ્પનું આયોજન

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ વિભાગ દ્વારા 11 ફેબ્રુઆરી 2026ના રોજ દ ઇન્વિન્સિબલ્સ 2026 – મેનેજમેન્ટ બૂટકેમ્પ વિથ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો, જેમાં દક્ષિણ ગુજરાતની વિવિધ કોલેજોમાંથી આશરે 400 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. રજિસ્ટ્રાર ડૉ. આર.સી. ગઢાવીના સહયોગથી કાર્યક્રમનું સુવ્યવસ્થિત સંચાલન થયું. વિભાગ પ્રમુખ મનીષ સિધપુરિયાના નેતૃત્વ હેઠળ આયોજન ટીમે કાર્યક્રમનું સંચાલન કર્યું. આ કાર્યક્રમમાં કુલ 6 સ્પર્ધાત્મક અને કૌશલ્ય આધારિત પ્રવૃત્તિઓ તેમજ વર્કશોપનો સમાવેશ થતો હતો. વિદ્યાર્થીઓને તેમની સર્જનાત્મકતા, નેતૃત્વ અને વ્યવસ્થાપન કુશળતાઓ દર્શાવવાની તક મળી. સ્પર્ધાઓનું મૂલ્યાંકન પ્રતિષ્ઠિત ન્યાયાધીશો દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંકલન ડૉ. વત્સલ પટેલ અને ડૉ. પ્રથા ઝાલાએ કર્યું હતું. આયોજન સમિતિમાં ડૉ. જયદીપ ચૌધરી, ડૉ. ધવલ મહેતા, ડૉ. જાનકી મિસ્ત્રી, ડૉ. નમ્રતા ખત્રી, ડૉ. રૂચી સિંહ મૌર્ય, મિસ વિશ્વા ભટ્ટ, શ્રીમતી રોશની ચૌહાણ, મિસ સ્વેક્ષા સિંહ, મિસ શ્રેયા દેસાઈ અને મિસ પિયાલી ગુપ્તાનો સહયોગ મળ્યો હતો. આ કાર્યક્રમને મીડિયા પાર્ટનર્સ તરીકે સુરતીઝ અને 94.3 માય એફએમનો સહયોગ મળ્યો હતો. આરિહંત ઇન્સ્ટિટ્યૂટ અને સ્વરા જ્વેલર્સ સહાયક ભાગીદારો હતા, જ્યારે સુપર સેન્ડવિચ કો., રોયલ સાંગા અને હજુરિસે ફૂડ એન્ડ બેવરેજ પાર્ટનર તરીકે યોગદાન આપ્યું હતું. સ્વયંસેવકો, વિદ્યાર્થી સંકલનકારો અને સપોર્ટ સ્ટાફના પ્રયત્નોથી કાર્યક્રમ સફળ રહ્યો. દ ઇન્વિન્સિબલ્સ 2026 દ્વારા વિદ્યાર્થીઓમાં નવીનતા, ટીમવર્ક અને સ્વસ્થ સ્પર્ધાની ભાવનાને પ્રોત્સાહન મળ્યું.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 2:58 pm

સાજીદ ભટ્ટી પાસા હેઠળ જેલ હવાલે:અમરેલીમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી

અમરેલી જિલ્લામાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ગુનેગાર સાજીદ રજાકભાઈ ભટ્ટીને પાસા હેઠળ સુરત મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. અમરેલીના પોલીસ અધિક્ષક સંજય ખરાતે જિલ્લા પોલીસને ગુનેગારો સામે કડક હાથે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.કે. વાઘેલાએ ભયજનક અને શરીર સંબંધિત ગુનાઓ આચરવાની ટેવ ધરાવતા સાજીદ રજાકભાઈ ભટ્ટી (ઉં.વ. 23, લીલાનગર, અમરેલી) વિરુદ્ધ પુરાવા એકત્ર કર્યા હતા. પીઆઈ વાઘેલા દ્વારા તૈયાર કરાયેલી પાસાની દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્વાજને મોકલવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે પાસાનું વોરંટ જારી કરતા, અમરેલી એલ.સી.બી. પીઆઈ એ.ડી. ચાવડા અને અમરેલી સિટી પોલીસ ટીમે વોરંટની બજવણી કરી આરોપી સાજીદ ભટ્ટીની અટકાયત કરી હતી. તેને સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. સાજીદ રજાકભાઈ ભટ્ટીનો ગુનાહિત ઇતિહાસ લાંબો છે. તેની વિરુદ્ધ અમરેલી સિટી પોલીસ સ્ટેશન અને રૂરલ પોલીસ સ્ટેશન સહિત કુલ 4 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તે વારંવાર ગુનાઓ આચરતો હોવાનું પોલીસ રેકોર્ડ દર્શાવે છે. વારંવાર ગુનાઓ આચરતા આ ઇસમ સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને જેલ હવાલે કરાતા, જિલ્લાના અસામાજિક તત્વોને સ્પષ્ટ ચેતવણી મળી છે. આ પગલાથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 2:56 pm

અઘોરી ગ્રુપે શિવ-શક્તિના સોંગથી ભક્તોને ડોલાવી દીધી:જટાધારી સાધુઓ અને ધૂણીનો ધખારો, 'હર હર મહાદેવ' અને 'જય ગિરનારી'ના નાદ, જૂનાગઢમાં ત્રીજા દિવસે ભાવિકોનું ઘોડાપૂર​

ગિરનારની પવિત્ર તળેટીમાં આયોજિત મહાશિવરાત્રીના મીની કુંભમેળાનો આજે ત્રીજો દિવસ છે. ભવનાથના આંગણે ભક્તિનું એવું પૂર ઉમટ્યું છે કે રસ્તાઓ પર પગ મૂકવાની પણ જગ્યા નથી. 'હર હર મહાદેવ' અને 'જય ગિરનારી'ના ગુંજતા નાદ સાથે શ્રદ્ધાળુઓ ડગલે ને ડગલે શિવમય બની રહ્યા છે. ભવનાથમાં જાણે કૈલાસ ઉતર્યું હોય તેવો ભક્તિભાવ સર્જાયો છે. ત્રીજા દિવેસ ભાવિકોનું ઘોડાપૂર​મેળાના ત્રીજા દિવસે માનવ મહેરામણ એટલી મોટી સંખ્યામાં ઉમટ્યું છે કે તેના વિઝ્યુઅલ્સ જોઈને પ્રયાગરાજ કુંભની યાદ તાજી થઈ જાય. ગિરનાર દરવાજા અને ભરડાવાવથી ભાવિકો પગપાળા ચાલીને મેળામાં પહોંચી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા પીવાના પાણીની સુવિધા અને આકર્ષક સેલ્ફી પોઈન્ટ્સ ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં યુવાધન અને પરિવારો યાદગાર ક્ષણોને કેમેરામાં કેદ કરી રહ્યા છે. ​વાહનો પર પ્રતિબંધ અને શાંતિપૂર્ણ મેળો​આ વર્ષે તંત્ર દ્વારા મેળામાં વાહનોના પ્રવેશ પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દર વર્ષે બાઇકો અને હોર્નના ઘોઘાટથી શ્રદ્ધાળુઓને થતી પરેશાની આ વખતે જોવા મળતી નથી. ભાવિકોએ આ નિર્ણયને આવકારીને જણાવ્યું હતું કે, વાહનો ન હોવાથી અમે મુક્ત મને અને શાંતિથી મેળાનો આનંદ માણી રહ્યા છીએ. હર્ષ સંઘવી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી આ મેળાને 'મીની કુંભ'ની ઓળખ મળતા શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ​અઘોરી ગ્રુપે શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા​ગઈકાલે રાત્રે(12 ફેબ્રુઆરી) સાંસ્કૃતિક વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર ‘અઘોરી ગ્રુપ’ રહ્યું હતું. આધુનિક સંગીતના સમન્વય સાથે શિવ-શક્તિની ભક્તિમય પ્રસ્તુતિઓએ હજારોની મેદનીને ડોલાવી દીધી હતી. ભજન અને આધુનિક વાદ્યોના તાલે આખું વાતાવરણ શિવમય બની ગયું હતું. દરરોજ અહીં નામી-અનામી કલાકારો દ્વારા સંતવાણી અને લોક ડાયરાની રમઝટ બોલાવવામાં આવે છે. જટાધારી નાગા સાધુઓ અને ધૂણીનો ધખારો​શિવરાત્રીના મેળાનો મુખ્ય સ્તંભ એટલે જટાધારી નાગા સાધુઓ. મેળામાં સાધુ-સંતોએ ધૂણી ધખાવી છે અને ચિલમની છોળો વચ્ચે અલખનો આરાધ શરૂ કર્યો છે. ભસ્મ અને રુદ્રાક્ષ ધારણ કરેલા સાધુઓના દર્શન કરવા માટે લોકો લાંબી કતારો લગાવી રહ્યા છે. ભાવિકોને આ સાધુઓમાં સાક્ષાત્ શિવના રૂપની અનુભૂતિ થઈ રહી છે. અન્નક્ષેત્રોમાં હરિહરનો નાદ અને ભક્તિનો ભાવ​મીની કુંભમાં સેવાભાવી સંસ્થાઓ અને ઉતારા મંડળો દ્વારા ભોજન પ્રસાદીની અવિરત સરવાણી વહી રહી છે. શાક, રોટલી, દાળ-ભાત અને મિષ્ટાન-ફરસાણ સાથે શ્રદ્ધાળુઓને પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે. માત્ર ભોજન જ નહીં, પણ થાકેલા ભાવિકો માટે ગાદલા-ગોદડાં અને વિશ્રામની પણ નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે. આ અન્નક્ષેત્રોમાં હરિહરનો નાદ અને ભક્તિનો ભાવ જોઈને આંતરડી ઠરે તેવો માહોલ છે. 'આ મેળો શિવ અને જીવનો મેળો છે'​પ્રખ્યાત કલાકાર હેમુભાઈ ગઢવીના પુત્ર બિહારી હેમુ ગઢવીએ મેળાની મુલાકાત દરમિયાન જૂની સ્મૃતિઓ તાજી કરી હતી. બિહારી હેમુ ગઢવીએ જણાવ્યું કે, આ મેળો શિવ અને જીવનો મેળો છે. અગાઉના સમયમાં જ્યારે મારા પિતા હેમુભાઈ ગઢવી, નારાયણ સ્વામી બાપુ, પ્રાણલાલ વ્યાસ અને ભીખુદાનભાઈ ગઢવી જેવા દિગ્ગજો ભજન ગાતા ત્યારે ભજનરસિયાઓ એક રાવટીએથી બીજી રાવટીએ કલાકારોની પાછળ દોડતા. ભવનાથની રજકણ પણ પવિત્ર છે. તેમણે વધુમાં ઉમેર્યું કે હાલમાં પણ અનેક કલાકારો પોતાની વાણી પવિત્ર કરવા અહીં આવે છે. ​લાઈવ રંગોળીનું આકર્ષણ​સુરતથી આવેલા અજય ગોસ્વામીએ જણાવ્યું કે તેઓ છેલ્લા પાંચ વર્ષથી અહીં આવે છે અને સાવરકુંડલાના ગ્રુપ સાથે મળીને લાઈવ રંગોળી બનાવે છે. તેમણે મીની કુંભના આયોજન અને સુંદર લાઈટિંગના વખાણ કરતા વડાપ્રધાન અને હર્ષભાઈ સંઘવીનો આભાર માન્યો હતો. 'હર હર મહાદેવ' અને 'જય ગિરનારી'ના ગુંજતા નાદગિરનારની સીડીઓ અને ભવનાથની ગલીઓમાં અત્યારે માત્ર ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો છે, જે મહાશિવરાત્રીની રાત્રે નીકળનારી ભવ્ય રવેડી સાથે ચરમસીમાએ પહોંચશે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 2:55 pm

સમી કોલેજમાં ‘યુરેકા’ બિઝનેસ પીચ સ્પર્ધા:વિદ્યાર્થીઓએ આત્મનિર્ભરતાના સપનાઓને આપી નવી ઉડાન

સમીની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં ઇનોવેશન ક્લબ દ્વારા ‘યુરેકા – બિઝનેસ પ્રપોઝલ અને પીચ કોમ્પિટિશન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ આત્મનિર્ભર ભારતના સપનાઓને નવી દિશા આપી હતી. આચાર્ય ડૉ. ટેકપાલસિંહ આનંદના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સરકારી કૉલેજ બેચરાજીના આચાર્ય ડૉ. ભાવનાબેન પટેલે હાજરી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસને બિરદાવતા સ્થાનિક સમસ્યાઓના ઉકેલમાં સાચા કૌશલ્યને ઓળખાવ્યું હતું. અમદાવાદના ડૉ. ઇજન વેદ, ગણપત યુનિવર્સિટીના ડૉ. અંકિત સિંહા અને અશ્વિનભાઈ ચૌધરી જેવા નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને વ્યવસાયિક જગત વિશે માર્ગદર્શન આપ્યું હતું. ડૉ. ઇજન વૈદે પોતાના વક્તવ્યમાં ભારતીય સમાજની જરૂરિયાતોને ઓળખીને ઉત્પાદનો બનાવતી કંપનીઓના ઉદાહરણો આપ્યા હતા. તેમણે સમજાવ્યું કે કેવી રીતે ગ્રાહકલક્ષી ઉત્પાદનો માત્ર આર્થિક જ નહીં, પરંતુ સમાજની દિશા અને દશાને પણ સકારાત્મક રીતે બદલી શકે છે. કૉલેજના આચાર્ય ડૉ. ટી.પી. આનંદે જણાવ્યું કે સ્વાવલંબી બનીને નવા વિચારો થકી દેશને વિશ્વગુરુ બનતા કોઈ રોકી નહીં શકે. તેમણે ભારપૂર્વક કહ્યું કે કોઈ વિચાર નાનો નથી હોતો, તેને માત્ર વેગ આપવાની અને સકારાત્મક પ્રયત્નોથી અમલમાં મૂકવાની જરૂર છે. તેમણે વિદ્યાર્થીઓને જોબ સીકર નહીં, પરંતુ જોબ ક્રિએટર બનવાની પ્રેરણા આપી. સ્પર્ધામાં 22 જેટલા વિદ્યાર્થીઓએ પરંપરાગત નોકરીની માનસિકતા ત્યાગીને પોતાના સંશોધિત પ્રોટોટાઇપ રજૂ કર્યા હતા. આ પ્રોટોટાઇપમાં વર્મીકમ્પોસ્ટ, મશરૂમની ખેતી અને ઓર્ગેનિક સાબુ જેવા વિષયોનો સમાવેશ થતો હતો. આ વિચારોમાં આર્થિક ઉન્નતિની સાથે સમાજ સેવા માટેની તડપ પણ જોવા મળી હતી. ડૉ. આરતીબેન પ્રજાપતિએ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું, જ્યારે વિજયભાઈ જોષીએ આભારવિધિ કરી હતી. વિજેતા વિદ્યાર્થીઓના હાથમાં રહેલી ટ્રોફી અને તેમની આંખોમાં રહેલી ભવિષ્યની ચમક દર્શાવતી હતી કે આ યુવાનો આવતીકાલના સફળ ઉદ્યોગસાહસિક બનવા સજ્જ છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 2:55 pm

બકુલેશ ગુપ્તાની પુણ્યતિથિએ સામાજિક કાર્યો:વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અભિયાન ચલાવી, દિવ્યાંગોને સિલાઈ મશીન અર્પણ કર્યા

શહેરના અગ્રણી શૈક્ષણિક સંકુલ બી.આર.જી. (BRG) ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા તેના સ્થાપક બકુલેશ ગુપ્તાની પુણ્યતિથિ નિમિત્તે સામાજિક સેવાના કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રુપની ઊર્મિ સ્કૂલ અને ગુજરાત પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ સંયુક્ત રીતે સ્વચ્છતા અભિયાન ચલાવ્યું અને દિવ્યાંગ પરિવારોને આત્મનિર્ભર બનાવવા સિલાઈ મશીન અર્પણ કર્યા. બકુલેશ ગુપ્તાની પુણ્યતિથિ નિમિત્તે તમામ શાળાઓમાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે યુવા પેઢીમાં સામાજિક જવાબદારીનો સંદેશ પણ આપવામાં આવ્યો. બી.આર.જી. ગ્રુપ સંચાલિત ઊર્મિ સ્કૂલના 100 થી વધુ વિદ્યાર્થીઓએ વોર્ડ 3 ના સફાઈ કર્મચારીઓને ફૂલ આપી સન્માનિત કર્યા હતા. ત્યારબાદ સમા તળાવ અને તેની આસપાસના વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. બકુલેશ ગુપ્તા શિસ્ત અને સમાજ સેવાના હિમાયતી હતા. તેમના આદર્શોને અનુસરીને, વિદ્યાર્થીઓએ સમા તળાવ જેવા જાહેર સ્થળે સફાઈ ઝુંબેશ ચલાવી નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કર્યા. આ અભિયાન હેઠળ વિદ્યાર્થીઓએ તળાવની આસપાસનો કચરો એકત્રિત કરી વિસ્તારને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ બનાવવાનો પ્રયાસ કર્યો. બી.આર.જી. ગ્રુપ ઓફ સ્કૂલ્સના સ્થાપક બકુલેશ ગુપ્તાની પુણ્યતિથિ નિમિત્તે ગુજરાત પબ્લિક સ્કૂલ દ્વારા સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરાયું. બકુલેશ ગુપ્તા સમાજના વંચિત વર્ગોના ઉત્થાન અને સ્વાવલંબનના હિમાયતી હતા. તેમના આદર્શોને અનુસરીને, શાળા પરિવારે દિવ્યાંગ પરિવારોને આત્મનિર્ભર બનાવવા માટે સિલાઈ મશીન અર્પણ કર્યા. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગ પરિવારોને આર્થિક રીતે સદ્ધર બનાવી સન્માનપૂર્વક જીવન જીવવામાં મદદ કરવાનો હતો. આ કાર્ય દ્વારા શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફે બકુલેશ ગુપ્તાને પુષ્પાંજલિની સાથે કર્માંજલિ અર્પણ કરી તેમની સ્મૃતિને જીવંત રાખી. બી.આર.જી. ગ્રુપના સંચાલક મંડળના જણાવ્યા અનુસાર, આવા આયોજનથી વિદ્યાર્થીઓમાં પુસ્તકિયા જ્ઞાનની સાથે સામાજિક ઉત્તરદાયિત્વની ભાવના કેળવાય છે. બી.આર.જી. ગ્રુપ ઓફ સ્કૂલ્સ શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપરાંત સામાજિક અને માનવીય અભિગમ ધરાવતા કાર્યક્રમો માટે જાણીતું છે. આ સ્વચ્છતા અભિયાન દ્વારા વડોદરાના વારસાને જાળવવા અને પર્યાવરણની સુરક્ષાનો સંકલ્પ લેવામાં આવ્યો.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 2:53 pm

સુરતમાં ચાર વર્ષના માસૂમ પુત્ર સાથે માતાનો આપઘાત:ડિવોર્સી પૂનમ શાહે પુત્ર શિવાઈને ગળેફાંસો આપી પોતે પણ લટકી ગઈ

સુરતના ઉમરા વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં 26 વર્ષીય ડિવોરસી માતા પૂનમ શાહે પોતાના 4 વર્ષના માસૂમ પુત્ર શિવાય સાથે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ, પૂનમે પહેલા પોતાના વ્હાલસોયા પુત્રને ગળેફાંસો આપ્યો અને ત્યારબાદ પોતે પણ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પરિવાર દ્વારા આક્ષેપ છે કેઆ કરુણ પગલાં પાછળ પૂનમના પૂર્વ પતિ કરણ શાહ દ્વારા કરવામાં આવતી કનડગત અને માનસિક ત્રાસ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. એક હસતા-રમતા બાળકની હત્યા અને માતાના આપઘાતની આ ઘટનાએ સમગ્ર સુરત શહેરમાં અરેરાટી ફેલાવી દીધી છે અને પોલીસ હાલ આ મામલે વધુ તપાસ કરી રહી છે.અમે આ સમાચાર સતત અપડેટ કરી રહ્યા છીએ…….

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 2:51 pm

ન્યૂ નવરંગ સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે ઉજવાયો:વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો, વિજેતાઓને મેડલ મળ્યા

અમદાવાદના ફતેહવાડી, સરખેજ રોડ સ્થિત ધી ન્યૂ નવરંગ સ્કૂલમાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્પોર્ટ્સ ડેની ઉજવણીમાં શાળાના દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ સ્પોર્ટ્સ સાધનોનો ઉપયોગ કરીને રમતોનો આનંદ માણ્યો હતો. સ્પોર્ટ્સમાં વિજેતા બનનાર વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અન્ય શાળાના આચાર્ય પણ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડો. ઈરફાન અરબે વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ વિશે માહિતી આપી અને તેના આધારે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 2:51 pm

ઝોઝ પોલીસે ઓઝડી પાસે વિદેશી દારૂ સાથે એક ઝડપ્યો:₹2.63 લાખનો દારૂ હ્યુન્ડાઇ કારમાંથી મળ્યો, ચાલકની ધરપકડ

છોટા ઉદેપુર જિલ્લાના ઝોઝ પોલીસે ઓઝડી ગામ પાસેથી વિદેશી દારૂ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ. 2,63,045/- ની કિંમતનો દારૂ અને એક હ્યુન્ડાઈ કાર સહિત કુલ રૂ. 5,18,045/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. છોટા ઉદેપુર એક સરહદી જિલ્લો હોવાથી, પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો વારંવાર થતા રહે છે. જિલ્લા પોલીસ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં સક્રિય છે. ઝોઝ પોલીસે પણ દારૂની વધુ એક ખેપ પકડી પાડી છે. ઝોઝ પોલીસ મથકના પી.આઈ. અરુણ પરમાર પેટ્રોલીંગમાં હતા ત્યારે તેમને બાતમી મળી હતી કે એક હ્યુન્ડાઈ કારમાં વિદેશી દારૂ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે, ઓઝડી ગામ પાસે રોડ પરથી GJ 01 RJ 8508 નંબરની હ્યુન્ડાઈ ગાડીને રોકવામાં આવી હતી. ગાડીની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની કુલ 1121 બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂ. 2,63,045/- થાય છે. પોલીસે દારૂ અને ગાડી સહિત કુલ રૂ. 5,18,045/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ગાડી ચાલક વિપુલભાઈ ગોવિંદભાઈ રાઠવા (રહે. દેવહાંટ ફળિયા, અંબાલા, તા.જી. છોટા ઉદેપુર) ની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 2:31 pm

33 GAS અધિકારીઓની સિનિયર સ્કેલમાં બઢતી:એડિશનલ કલેક્ટર, ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓના પે લેવલમાં વધારો, જુઓ કોને પ્રમોશન મળ્યું

રાજ્ય સરકારે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS) કેડરના 33 અધિકારીઓને સિનિયર સ્કેલ (લેવલ-12, પગાર માળખું ₹78,800–2,09,200)માં પ્રમોશન આપતું નોટિફિકેશન જાહેર કર્યું છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચના મુજબ તમામ અધિકારીઓને સિલેક્શન સ્કેલ (લેવલ-13)માં ઉન્નત કરી હાલની જ જવાબદારીઓ પર યથાવત્ રાખવામાં આવ્યા છે. GAS અધિકારીઓને સિનિયર સ્કેલમાં પ્રમોશનપ્રમોશન મેળવનાર અધિકારીઓમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડિરેક્ટર, રેસિડન્ટ એડિશનલ કલેક્ટર, પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ડેપ્યુટી કમિશનર, એડિશનલ કલેક્ટર સહિતના મહત્વના હોદ્દા પર કાર્યરત અધિકારીઓનો સમાવેશ થાય છે. મોરબી, ખેડા, પંચમહાલ-દાહોદ, વડોદરા, અમદાવાદ, વલસાડ, બનાસકાંઠા, કચ્છ, જૂનાગઢ, રાજકોટ, નર્મદા સહિત વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા અધિકારીઓને લાભ મળ્યો છે. સચિવાલય ગાંધીનગર ખાતે કાર્યરત કેટલાક પર્સનલ સેક્રેટરી અને વિભાગીય અધિકારીઓને પણ બઢતી આપવામાં આવી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રમોશન ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલા SCA નં. 5182/2020 અને 5972/2020ના અંતિમ નિર્ણયને આધીન રહેશે. રાજ્યપાલના આદેશથી જાહેર થયેલા આ નિર્ણયને વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે અને અધિકારીઓમાં ઉત્સાહનો માહોલ છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 2:23 pm

જામ્બુઘોડા CHCને નવી એમ્બ્યુલન્સ મળી:₹14.89 લાખના ખર્ચે વસાવેલી, નાગરિકોને મળશે તાત્કાલિક સેવા

પંચમહાલના જામ્બુઘોડા સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) માટે નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ જિલ્લા કલેક્ટર કચેરી, પંચમહાલ ખાતેથી કરવામાં આવ્યું હતું. જાહેર આરોગ્યની સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવાના અભિગમ સાથે ₹14.89 લાખના ખર્ચે વસાવવામાં આવેલી આ એમ્બ્યુલન્સ જામ્બુઘોડા તાલુકાના નાગરિકો માટે આશીર્વાદરૂપ બનશે. આ લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, જિલ્લા કલેક્ટર અજય દાહિયા, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. દેસાઈ, જિલ્લા અગ્રણી મયંકભાઈ દેસાઈ અને જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન ભારતીબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. વિપુલ ગામીત, જિલ્લા પંચાયત સદસ્યો તેમજ અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓની હાજરીમાં એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. તાકીદની સેવાઓ માટે મહત્વનું કદમ ગણાતી આ એમ્બ્યુલન્સ જામ્બુઘોડા તાલુકા અને આજુબાજુના અંતરિયાળ વિસ્તારો માટે જીવનરક્ષક સાબિત થશે. ખાસ કરીને રોડ અકસ્માત, હાર્ટ એટેક કે ગંભીર ઈજાના સમયે દર્દીને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ પહોંચાડી શકાશે. આ ઉપરાંત, ડિલિવરીના કિસ્સામાં સગર્ભા મહિલાઓને સમયસર સારવાર ઉપલબ્ધ કરાવાશે. સાપ કે અન્ય ઝેરી જંતુ કરડવાના કિસ્સામાં ત્વરિત સારવાર માટે પણ તે ઉપયોગી થશે. ગંભીર દર્દીઓને વધુ સારી સારવાર માટે એક હોસ્પિટલથી બીજી હાયર સેન્ટર હોસ્પિટલમાં એડવાન્સ લાઈફ સપોર્ટ સાથે સ્થળાંતરિત કરવામાં પણ આ એમ્બ્યુલન્સ મદદરૂપ થશે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 2:22 pm

મહીસાગરમાં 32,619 વિદ્યાર્થીઓ SSC-HSC પરીક્ષા આપશે:પરીક્ષાના આયોજન માટે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમિતિ બેઠક

મહીસાગર જિલ્લામાં ધોરણ 10 અને 12 (સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહ)ની આગામી પરીક્ષાઓના આયોજન માટે સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક લુણાવાડા જિલ્લા સેવા સદન સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. કલેક્ટર અર્પિત સાગરે પરીક્ષાઓ શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી આયોજન કરવા સૂચના આપી હતી. તેમણે વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચે, પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો જળવાઈ રહે અને વિદ્યાર્થીઓ માટે આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ થાય તેની ખાતરી કરવા પણ જણાવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી નૈલેષકુમાર મુનિયાએ પરીક્ષા અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, મહીસાગર જિલ્લામાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ સુધી યોજાશે. કુલ 32,619 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પૈકી ધોરણ 10માં 18,654 વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 12,116 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,849 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 2:20 pm

ગઢડાના જૂના સ્વામિનારાયણ મંદિર પાસે તંત્રનું બુલડોઝર ફર્યું:ચુસ્ત બંદોબસ્ત સાથે સાંકડી શેરીમાં દબાણો દૂર કરાયા, સાંખ્યયોગી બહેનો અને મહિલા પોલીસકર્મીઓ સાથે ઉગ્ર બોલાચાલી

ગઢડાના જૂના સ્વામિનારાયણ મંદિર સામે આવેલા સાંકડી શેરી વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો હટાવવાની વ્યાપક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મામલતદાર અને ચીફ ઓફિસર સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રસ્તા પરના નડતરરૂપ ઓટલા અને અન્ય કાચા-પાકા બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. વિવાદ અને ઘર્ષણની સ્થિતિદબાણ હટાવવાની આ કામગીરી દરમિયાન વાતાવરણ ગરમાયું હતું. સ્થળ પર હાજર સાંખ્યયોગી બહેનો અને મહિલા પોલીસકર્મીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જ્યારે મહિલા પોલીસે સાંખ્યયોગી બહેનોને રસ્તા પરથી ખસેડવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. જોકે, ભારે રકઝક વચ્ચે પણ તંત્રએ પોતાની કામગીરી ચાલુ રાખી હતી. કેમ આ નિર્ણય લેવાયો?ચીફ ઓફિસર ડી.જી. પ્રજાપતિએ મીડિયાને જણાવ્યું હતું કે, આ વિસ્તારના એક અરજદાર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે સાંકડી શેરીમાં રહેવાસીઓએ રસ્તા પર ગેરકાયદે ઓટલા બનાવી દીધા છે. દબાણો દૂર કરવાનું કારણ કોંગ્રેસનો વિરોધ અને આંદોલનની ચીમકીબીજી તરફ, વિપક્ષ દ્વારા આ કામગીરીને 'ગેરવાજબી' ગણાવવામાં આવી છે. કોંગ્રેસના વિપક્ષી નેતા મીત ડાંગરે આક્ષેપ કર્યો હતો કે, તંત્રએ માત્ર 1 દિવસ અગાઉ નોટિસ આપીને તાબડતોબ ડિમોલિશનની કાર્યવાહી કરી છે, જે અન્યાયી છે. તેમણે ચેતવણી આપી છે કે જો આગામી થોડા દિવસોમાં આ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ નહીં આવે, તો કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 2:11 pm

અમલસાડમાં 155 જાનૈયાને ફૂડ પોઈઝનિંગ:લગ્નપ્રસંગના જમણવાર બાદ વરરાજા સહિત અનેકની તબિયત લથડી

ગણદેવી તાલુકાના અમલસાડ ગામે એક લગ્ન પ્રસંગના જમણવારમાં ભોજન લીધા બાદ 155થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે. ઝાડા-ઉલ્ટી અને ગભરામણની અસર થતા તેમને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, જેમાં ખુદ વરરાજાનો પણ સમાવેશ થાય છે. આ ઘટના ગુરુવારે અમલસાડના વિકાસ ફળિયામાં ભૂપેન્દ્રભાઈ ટંડેલના પુત્ર નિલના લગ્ન પ્રસંગે બની હતી. આયોજિત જમણવારમાં આશરે 1000 મહેમાનો હાજર રહ્યા હતા. મોડી સાંજે વરરાજાની જાન જલાલપોર જવા રવાના થવાની તૈયારીમાં હતી ત્યારે જ મહેમાનો અને ગ્રામજનોને શારીરિક તકલીફો શરૂ થઈ હતી. ભોજન સમારંભમાં છોલે-પુરી, પનીરનું શાક, દૂધીનો હલવો, દાળ-ભાત, કચુંબર, ફુલવડી અને ભૂંગળા જેવી વાનગીઓ પીરસવામાં આવી હતી. જાન નીકળતા પહેલા જ 155 થી વધુ લોકોને ગેસ, ઝાડા, ઉબકા અને ઉલ્ટી થવા લાગી હતી. વરરાજા નિલ ટંડેલની તબિયત પણ લથડતા તેમને તબીબી સારવાર લેવાની ફરજ પડી હતી. ઘટનાની ગંભીરતા જોતા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી. સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે 32 દર્દીઓ, કૃષ્ણપુર PHC ખાતે 22 દર્દીઓ અને મંદિર ગામ PHC ખાતે 22 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. આ ઉપરાંત, 50થી વધુ લોકોને સ્થાનિક સ્તરે સારવાર મળી હતી. આ મામલે આરોગ્ય અધિકારી ભાવેશ પટેલે જણાવ્યું કે કુલ 155 જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી છે, જેમાંથી 60 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. બાકીના અન્ય દર્દીઓને ઓપીડી બેઝ સારવાર આપવામાં આવી હતી. ગામમાં આરોગ્ય વિભાગની એક ટીમ કાર્યરત છે અને અન્ય ગામોમાં અસરગ્રસ્ત દર્દીઓને પણ સ્થાનિક કક્ષાએ સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 2:03 pm

વેરાવળમાં ફોર્મ-7ના દુરુપયોગની 282 ફરિયાદો:લઘુમતી મતદારોના નામ કાપવાના પ્રયાસોનો આક્ષેપ, પોલીસને લેખિત રજૂઆત

ગુજરાતમાં ચાલી રહેલા મતદાર યાદી સુધારણા અભિયાન દરમિયાન ફોર્મ નંબર-7ના દુરુપયોગના આક્ષેપો સામે આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર બાદ હવે વેરાવળમાં પણ આ મુદ્દે વિરોધ નોંધાયો છે. વેરાવળ ખાતે મુસ્લિમ આગેવાનો 282 જેટલી લેખિત ફરિયાદો સાથે પોલીસ મથકે પહોંચ્યા હતા. તેમણે સીટી પી.આઈ. ગઢવીને રજૂઆત કરી હતી. આ આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે, લઘુમતી સમાજના મતદારોને નિશાન બનાવી તેમના નામ ખોટી રીતે મતદાર યાદીમાંથી કાપવાના પ્રયાસો થઈ રહ્યા છે. જેમના વિરુદ્ધ ફોર્મ-7 ભરાયા છે, તે તમામ વ્યક્તિઓ જીવિત છે અને પોતાના સરનામે હાજર છે. રજૂઆત કરનારાઓમાં પૂર્વ મુસ્લિમ સમાજ પ્રમુખ અનવર ચૌહાણ, જમિયતે ઉલેમાએ હિન્દના ફારૂકભાઈ, નગરસેવક સાહિલ સેખું અને સામાજિક કાર્યકર અલતાફભાઈ મુગલનો સમાવેશ થાય છે. તેઓએ મતાધિકાર છીનવવાના કાવતરા સામે કડક કાયદેસર કાર્યવાહીની માંગ કરી હતી અને ભારતીય દંડ સંહિતા હેઠળ પગલાં ભરવા જણાવ્યું હતું. આગેવાનોએ ભારપૂર્વક જણાવ્યું કે, મતદાનનો અધિકાર બંધારણ દ્વારા પ્રદત્ત મૂળભૂત હક છે. કોઈપણ નાગરિકને ખોટી અરજી દ્વારા મતદાર યાદીમાંથી દૂર કરવાનો પ્રયાસ લોકશાહી માટે હાનિકારક છે. પોલીસ તંત્ર દ્વારા આ રજૂઆતો સ્વીકારીને સમગ્ર મામલે તપાસ કરવાની ખાતરી આપવામાં આવી છે. હવે આ તપાસના આધારે શું કાર્યવાહી થાય છે, તેના પર સૌની નજર રહેશે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 2:02 pm

સોમનાથમાં મહાશિવરાત્રિએ 60 ટન રેતીથી ભવ્ય શિલ્પો:ઓડિશાના કલાકારો ગણપતિ, શિવ-પાર્વતી અને સોમનાથ મંદિરની કૃતિઓ બનાવશે

મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે સોમનાથ મંદિરમાં ભક્તિ અને કળાનો અનોખો સંગમ જોવા મળશે. લાખો શ્રદ્ધાળુઓની હાજરી વચ્ચે 60 ટન રેતીમાંથી ભવ્ય રેતશિલ્પો તૈયાર કરાશે, જે મુખ્ય આકર્ષણ બનશે. સોમનાથ ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્રના સંકલન હેઠળ મહાશિવરાત્રિ મહોત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. ભક્તોને નવીન આધ્યાત્મિક અનુભૂતિ આપવા માટે ઓડિશાના કુશળ સેન્ડ આર્ટિસ્ટોની ટીમ દિવસ-રાત કાર્યરત છે. પ્રખ્યાત સેન્ડ આર્ટિસ્ટ નારાયણ સાહૂ, સુબોલ્લા મહારાણા અને જીતેન્દ્ર મહારાણા સહિતના કલાકારો ત્રણ દિવસમાં ત્રણ વિશાળ રેતશિલ્પો બનાવશે. આ કૃતિઓમાં શ્રી ગણપતિજી, શિવ-પાર્વતી, કાર્તિકેયના સ્વરૂપો, સોમનાથ મંદિર અને શિવતાંડવના દ્રશ્યોને રેતીમાં આકાર અપાશે. કલાકારોના મતે, એક શિલ્પ બનાવવામાં લગભગ 24 કલાકનો સમય લાગે છે. આ રેતશિલ્પોની વિશેષતા એ છે કે, તેમાં કોઈ પણ પ્રકારના રસાયણનો ઉપયોગ થતો નથી. માત્ર રેતી અને આશરે 2 થી 3 હજાર લિટર પાણીના ઉપયોગથી આ કૃતિઓને મજબૂત બનાવવામાં આવે છે. મહાશિવરાત્રિના પવિત્ર અવસરે સોમનાથમાં આ કલાત્મક કૃતિઓ ભાવિકો માટે યાદગાર રહેશે. ભક્તિ અને કળાનો આ સંગમ સોમનાથધામમાં મહાશિવરાત્રિને વધુ ભવ્ય બનાવશે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 1:59 pm

આગામી દિવસોમાં 4 શાળાઓને મોડલ શાળા તરીકે અપગ્રેડ કરાશે:સિદસર પ્રાથમિક શાળાના રૂ. 2.13 કરોડના ખર્ચે 'મોડલ સ્કૂલ' તરીકે અપગ્રેડેશનનું ખાતમુહૂર્ત કરાયું

આધુનિક સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, એમ્ફીથિયેટર, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હશે ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષણના સ્તરને વધુ ઉંચુ લાવવા અને ભૌતિક સુવિધાઓ સજ્જ કરવાના હેતુથી શહેરની સિદસર પ્રાથમિક શાળાને 'મોડલ સ્કૂલ' તરીકે વિકસાવવા માટે રૂ.2.13 કરોડના ખર્ચે અપગ્રેડેશન કામગીરીનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, ચાર શાળાઓને મોડલ શાળા તરીકે અપગ્રેડ કરવામાં આવશે ​નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ડો. નિકુંજ મહેતાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે,સરકારની વિવિધ ગ્રાન્ટ અંતર્ગત આ યોજના સાકાર થઈ રહી છે મોડલ શાળાના અપગ્રેડેશન હેઠળ બાળકોને તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ પ્રાપ્ત થશે, જેમાં મુખ્યત્વે ​નવા શેડ અને કમ્પાઉન્ડ વોલની વ્યવસ્થા, ​રમત-ગમત માટે સુસજ્જ ગ્રાઉન્ડ, ​સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે થિયેટરની સુવિધા, ​અદ્યતન ભૌતિક સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણનું વાતાવરણ સાથે આવનારા દિવસોમાં મહાનગરપાલિકા દ્વારા કુલ ચાર શાળાઓને મોડલ શાળા તરીકે અપગ્રેડ કરવામાં આવશે, ​મોડેલ શાળામાં આ સુવિધાઓ ઉપલબ્ધ બનશે ​પ્રોજેક્ટની સુરક્ષા અને સરળ અવરજવર માટે 120 મીટર લાંબી કમ્પાઉન્ડ વોલ અને 9 મીટર પહોળો મજબૂત RCC મેઈન રોડ બનાવવામાં આવશે, આ સાથે જ સમગ્ર એરિયામાં ઇન્ટરલોકિંગ પેવર બ્લોક્સ લગાવીને સાઇટને આધુનિક લુક આપવામાં આવશે. હયાત શેડનું વિશાળ વિસ્તરણ કરીને ક્ષમતામાં વધારો કરવામાં આવશે., ​જાહેર કાર્યક્રમો અને સભાઓ માટે એક ભવ્ય પગથિયાં વાળું એમ્ફીથિયેટર તૈયાર કરવામાં આવશે, આધુનિક RCC સ્ટેજ બનાવવામાં આવશે, આ સુવિધાથી સ્થાનિક કલાકારો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને નવું પ્લેટફોર્મ મળશે, યુવાનોને પ્રોત્સાહન આપવા માટે રમતગમતના ક્ષેત્રે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે, યોગ્ય માટી કામ અને લેવલિંગ સાથે નવા મેદાન તૈયાર થશે. પોલ ફિક્સિંગ અને કોર્ટ માર્કિંગ સાથે પ્રોફેશનલ વોલીબોલ ગ્રાઉન્ડ બનશે, ​પર્યાવરણને ધ્યાનમાં રાખીને 160 સાયકલની ક્ષમતાવાળું શેડ સાથેનું પાર્કિંગ બનાવવામાં આવશે, સ્વચ્છતાના અભિગમ સાથે એક નવો ટોયલેટ બ્લોક તૈયાર કરવામાં આવશે, રેલિંગ અને રેમ્પ સાથે ખાસ ટોયલેટ, ​મહિલાઓ અને પુરુષો અલગ અલગ ટોયલેટ તેમજ યુરિનલ્સની સુવિધા ઉપલબ્ધ કરાશે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 1:51 pm

રાજકોટમાં અશાંતધારાની અનેક અરજીઓ પેન્ડિંગ:તંત્રની નિષ્ક્રિયતા અને ટેકનિકલ ભૂલોને કારણે સામાન્ય નાગરિકો અને પક્ષકારો ભારે મુશ્કેલીમાં મુકાયા, ત્વરિત પગલાં નહીં લેવાય તો આંદોલનની ચીમકી

રાજકોટ શહેરમાં અશાંતધારાના કાયદા હેઠળની અનેક અરજીઓ પેન્ડિંગ છે. અરજીના નિકાલમાં થઈ રહેલા વિલંબ અને જાન્યુઆરી-2026ના નવા નોટિફિકેશનમાં જોવા મળતી વિસંગતતાઓને કારણે મિલકત લે-વેચના વ્યવહારોમાં મોટો અવરોધ ઉભો થયો છે. આ મામલે તંત્રની નિષ્ક્રિયતા અને ટેકનિકલ ભૂલોને કારણે સામાન્ય નાગરિકો અને પક્ષકારો ભારે મુશ્કેલીમાં મુકાયા હોવાનો આરોપ રાજકોટ બાર એસોસિએશન દ્વારા લગાવાયો છે અને આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવા કલેક્ટર પાસે માંગ કરી છે. તેમજ હજારો લોકોને અસર કરતી આ સમસ્યા તાત્કાલિક દૂર કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. રાજકોટ રેવેન્યુ બાર એસોસિએશનના સેક્રેટરી વિજય તોગડિયાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં અશાંતધારા હેઠળની અંદાજે 150 થી 200 જેટલી અરજીઓ લાંબા સમયથી કોઈ પણ પ્રકારના ઓર્ડર વિના પેન્ડિંગ પડી છે. વકીલો અને પક્ષકારો દ્વારા વારંવાર પ્રાંત કચેરીઓમાં રજૂઆત કરવા છતાં આ અરજીઓનો નિકાલ કરવામાં આવતો નથી. અશાંતધારાનો ક્લિયરન્સ ઓર્ડર નહીં હોવાને કારણે સબ-રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજની નોંધણી થઈ શકતી નથી, જેને પગલે મિલકતના ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે અટકી પડ્યા છે. સૌથી ગંભીર પ્રશ્ન જાન્યુઆરી-2026માં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા અશાંતધારાના રિન્યુઅલ નોટિફિકેશનનો છે. 2021માં જ્યારે આ કાયદો લાગુ થયો ત્યારે જે સર્વે નંબરો અને સોસાયટીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, તેમાંથી અનેક સીટી સર્વે નંબર અને રેવેન્યુ સર્વે નંબરો 2026ના નવા નોટિફિકેશનમાં ગાયબ જોવા મળ્યા છે. આ ટેકનિકલ ભૂલને કારણે જે તે વિસ્તારોમાં મિલકત ધરાવતા લોકો હવે કાયદાકીય ગૂંચવણમાં ફસાયા છે. જે મિલકતો અગાઉ કાયદેસર રીતે ટ્રાન્સફર થતી હતી, તે હવે રેકોર્ડમાં વિસંગતતાને કારણે અટકી પડી છે. આ વહીવટી વિલંબની સીધી અસર સામાન્ય જનતા પર પડી રહી છે. તોગડિયાએ વધુમાં જણાવ્યું કે, વિદેશથી આવતા લોકો, સ્થાનિક રહેવાસીઓ અને ખાસ કરીને જેઓએ હોમ લોન લીધી છે તેવા પક્ષકારો અત્યારે ખૂબ જ મુશ્કેલીમાં છે. દસ્તાવેજ ન થાય ત્યાં સુધી બેંક લોન ડિસબર્સ કરતી નથી, જેના કારણે સોદાઓ કેન્સલ થઈ રહ્યા છે. પક્ષકારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ અંગે તાત્કાલિક પગલાં લેવા જરૂરી બન્યા છે. રાજકોટમાં અશાંત ધારાના નવા નોટિફિકેશનને લઈને ઉભી થયેલી મૂંઝવણો અંગે રાજકોટ બાર એસો.નાં સેક્રેટરી નિલેશભાઈ પટેલે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, સરકાર દ્વારા અશાંત ધારાનું નોટિફિકેશન 5 વર્ષ માટે લંબાવવામાં આવ્યું, પરંતુ નવા નોટિફિકેશનમાં અંદાજે 150 થી 200 જેટલી સોસાયટીઓના સર્વે નંબરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જેના કારણે દસ્તાવેજ નોંધણીમાં મુશ્કેલી પડી રહી છે. સબ રજિસ્ટ્રાર કચેરીમાં જ્યારે દસ્તાવેજ નોંધવા જવામાં આવે છે, ત્યારે આ રહી ગયેલા સર્વે નંબરોને કારણે દસ્તાવેજોની નોંધણી થતી નથી. જેના કારણે મિલકતના સોદાઓ રદ થઈ રહ્યા છે અને સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પરવાનગીની પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે. અશાંત ધારા હેઠળ પરવાનગી મેળવવા માટેની ઘણી અરજીઓ હાલ પેન્ડિંગ છે, જેનો તાત્કાલિક નિકાલ કરવો જરૂરી છે. ત્યારે, જો આગામી 1 સપ્તાહમાં આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે અને સબ રજિસ્ટ્રાર કચેરીને જરૂરી સૂચના નહીં આપવામાં આવે, તો વકીલો દ્વારા આ મુદ્દે જનવ્યાપી આંદોલન છેડવામાં આવશે અને જરૂર પડ્યે હડતાલ પણ પાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રેવેન્યુ બાર એસોસિએશને કલેક્ટર પાસે એવી અપેક્ષા વ્યક્ત કરી છે કે જે સર્વે નંબરો નવા નોટિફિકેશનમાં રહી ગયા છે તે અંગે તાત્કાલિક સ્પષ્ટતા કરવામાં આવે. સાથે જે અરજીઓ ખોટી રીતે પેન્ડિંગ રાખવામાં આવી હોય તેનો 7 થી 10 દિવસમાં નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી છે. જો વહીવટી તંત્ર દ્વારા હકારાત્મક અભિગમ અપનાવીને આ પ્રશ્નનું તાત્કાલિક નિરાકરણ નહીં લાવવામાં આવે, તો આગામી દિવસોમાં આંદોલનાત્મક પગલાં લેવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 1:46 pm

વલસાડમાં કૂતરાએ 13 લોકોને બચકાં ભર્યા:કૈલાશ રોડ પરની ઘટના; તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા

વલસાડ શહેરના કૈલાશ રોડ વિસ્તારમાં ગુરુવારે એક કૂતરાએ હુમલો કર્યો હતો. આ હિંસક કૂતરાએ બાળકો, યુવાનો અને વાહનચાલકો સહિત કુલ 13 લોકોને કરડ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખાનગી અને વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કૈલાશ રોડ પર છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. ગુરુવારે રાત્રે એક કૂતરો અચાનક હિંસક બન્યો અને રસ્તામાં આવતા લોકોને નિશાન બનાવ્યા. તેણે રમી રહેલા બાળકોને કરડ્યા અને બાઇક સવારના પગમાં બચકાં ભરી તેમને પાડી દીધા હતા. એકસાથે 13 લોકોને કૂતરા કરડવાની ઘટનાને પગલે નગરપાલિકાના તંત્ર સામે સવાલો ઉભા થયા છે. સ્થાનિક રહીશોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ રખડતા ઢોર અને કૂતરાઓના ત્રાસ અંગે વારંવાર રજૂઆતો કરે છે, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી થતી નથી. આ ઘટના બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ છે. ઈજાગ્રસ્તોમાં બાળકો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. આ ઘટના કૈલાશ રોડ અને તેની આસપાસની સોસાયટીઓમાં બની હતી. તમામ ઈજાગ્રસ્તોને હડકવા વિરોધી રસી (Anti-Rabies) આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 1:46 pm

મહેસાણા જિલ્લા ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર:શહેર ઉપપ્રમુખ તરીકે જેસગ ચૌધરી અને જશીબેન મકવાણાની નિમણૂક; જુઓ તાલુકા-શહેરોના નવા ઉપપ્રમુખોનું લિસ્ટ

આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા નવા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશના મોવડી મંડળ સાથેની વિસ્તૃત ચર્ચા-વિચારણા બાદ જિલ્લાના વિવિધ તાલુકા અને શહેરો માટે ઉપપ્રમુખ તરીકેના નામો જાહેર કરવામાં આવ્યા છે. શહેર અને તાલુકા સ્તરે નવી જવાબદારીનવી નિમણૂક મુજબ મહેસાણા શહેર ઉપપ્રમુખ તરીકે જેસગ ફુલજીભાઈ ચૌધરી અને જશીબેન જગદીશભાઈ મકવાણાની પસંદગી કરવામાં આવી છે. જ્યારે મહેસાણા તાલુકાની જવાબદારી સંજય ગૌતમભાઈ પટેલ અને દિલીપ બબાભાઈ પ્રજાપતિને સોંપવામાં આવી છે. વિસનગર તાલુકા ઉપપ્રમુખ તરીકે મુકેશ પટેલની પસંદગીસંગઠન દ્વારા જિલ્લાના અન્ય મહત્વના તાલુકાઓમાં પણ અનુભવી કાર્યકરોને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં વિસનગર તાલુકા ઉપપ્રમુખ તરીકે મુકેશ ઇશ્વરભાઈ પટેલ, ઊંઝા તાલુકા માટે સ્મિતીકાબેન જીજ્ઞેશભાઈ સુથાર, ખેરાલુ તાલુકા માટે વિનાયક કનુભાઈ પંડયા અને કડી તાલુકા ઉપપ્રમુખ તરીકે ભરત ભુદરભાઈ પટેલના નામોની જાહેરાત કરવામાં આવી છે. કાર્યકરોમાં ભારે ઉત્સાહઆ તમામ નવયુક્ત હોદ્દેદારોને સંગઠનની રીતિ-નીતિ મુજબ પક્ષના કાર્યોને વેગ આપવા અને જનતા સુધી સરકારની યોજનાઓ પહોંચાડવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે. નવા હોદ્દેદારોની વરણી થતા જ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઠેર-ઠેર અભિનંદન વર્ષા થઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 1:40 pm

78 વર્ષ બાદ બદલાયું સત્તાનું સરનામું! આજથી 'સેવા તીર્થ'માં PM મોદીની ઓફિસ, એક જ છત નીચે તમામ મંત્રાલયો

(Photo: X/DrJitendraSingh) PMO Shift to Seva Teerth: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે તેમના નવા કાર્યાલય 'સેવા તીર્થ'માં શિફ્ટ થવા જઈ રહ્યા છે. બપોરે 1:30 વાગ્યે તેઓ આ નવા બિલ્ડિંગ કોમ્પ્લેક્સના નામનું અનાવરણ કરશે અને સાંજે 6:00 વાગ્યે 'સેવા તીર્થ' તથા 'કર્તવ્ય ભવન-1 અને 2'નું ઉદ્ઘાટન કરીને જનતાને સંબોધિત કરશે.

ગુજરાત સમાચાર 13 Feb 2026 1:30 pm

ITIના યુવાનો માટે સરકાર લાવશે નવી યોજના:પ્રથમ તબક્કામાં રાજ્યની 20 પસંદગીની ITIમાં આધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરાશે

રાજ્યના યુવાનોને કૌશલ્ય સાથે સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ આગળ ધપાવવા રાજ્ય સરકાર દ્વારા અનોખી પહેલ હાથ ધરાઈ છે. આગામી બજેટમાં ITIમાં તાલીમ લેતા અંદાજે 1.58 લાખ યુવાઓને સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ સાથે સંકળાવવા ‘યુવા કૌશલ્ય સ્પોર્ટ્સ સંકુલ’ યોજના જાહેર થવાની શક્યતા છે. સરકારનો હેતુ માત્ર રોજગારી પૂરતી તાલીમ આપવાનો નથી, પરંતુ યુવાનોમાં શારીરિક તંદુરસ્તી, ટીમ સ્પિરિટ અને સ્પર્ધાત્મકતા વિકસાવવાનો પણ છે. બક્કાવાર અન્ય ITIમાં પણ સુવિધાઓ ઊભી કરાશેપ્રથમ તબક્કામાં રાજ્યની 20 પસંદગીની ITIમાં આધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરાશે. લગભગ રૂ.12 કરોડના પ્રાથમિક ખર્ચથી મેદાનો, ઇન્ડોર હોલ, કોચિંગ સુવિધા અને જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવાશે. ત્યારબાદ તબક્કાવાર અન્ય ITIમાં પણ સુવિધાઓ વિસ્તરશે. તાલીમ સાથે રમતગમતનો સમન્વયયોજનાનો વિશેષ ફોકસ એ રહેશે કે, ITIના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ માટે તૈયાર કરી શકાય. ઉદ્યોગગૃહો સાથે સંકલન કરીને ખેલાડીઓને પ્રોત્સાહન અને પ્રાયોજકતા પણ ઉપલબ્ધ કરાવાશે. તાલીમ સાથે રમતગમતનો સમન્વય થવાથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધશે અને તેમના સર્વાંગી વિકાસને વેગ મળશે. રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓને ધ્યાનમાં રાખી પહેલસૂત્રોના જણાવ્યા મુજબ, રાજ્યમાં આગામી વર્ષોમાં યોજાનારી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓને ધ્યાનમાં રાખીને જ આ પહેલ કરવામાં આવી રહી છે. ITIમાં ફિટર, ઇલેક્ટ્રીશિયન, મશીનિસ્ટ જેવા ટ્રેડમાં તાલીમ લેતા યુવાઓ માટે હવે રમતગમત પણ કારકિર્દીનો વિકલ્પ બની શકે છે. આ યોજના અમલમાં આવ્યા બાદ કૌશલ્ય વિકાસ અને સ્પોર્ટ્સ વિકાસ વચ્ચેનું અંતર ઘટશે. સરકારનો દાવો છે કે “સ્કિલ અને સ્પોર્ટ્સ”ના સમન્વયથી યુવાનોને નવી દિશા મળશે અને રાજ્યનું પ્રતિનિધિત્વ રાષ્ટ્રીય મંચ પર વધુ મજબૂત બનશે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 1:27 pm

જલાલપોર ભાજપમાં 'કોલ્ડવોર':નવા સંગઠન માળખામાં પદ ન મળતા 19 સભ્યોના રાજીનામા, કાર્યકરે કહ્યું- 'પાર્ટી માટે લોહી રેડ્યુ પણ અવગણના થઇ'

નવસારી જિલ્લા ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર થતાંની સાથે જ પક્ષમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને જલાલપોર વિધાનસભા મતવિસ્તારમાં કાર્યકરોની અવગણના થઈ હોવાની લાગણી સાથે ભારે રોષ જોવા મળી રહ્યો છે. બે દિવસ અગાઉ 7 સભ્યોએ રાજીનામાં આપ્યા બાદ, આજે વધુ 12 સભ્યોએ રાજીનામાં ધરી દેતા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. આ સાથે રાજીનામું આપનારા હોદ્દેદારોની કુલ સંખ્યા 19 પર પહોંચી છે. નવા સંગઠન માળખામાં પદ ન મળતા નારાજગીઆ વિવાદનું મુખ્ય કારણ જિલ્લા ભાજપ સંગઠનમાં પ્રમુખ કે મહામંત્રી જેવા મહત્વના હોદ્દાઓ પર જલાલપોર તાલુકાના એક પણ કાર્યકરને સ્થાન ન મળવું છે. જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ તરીકે નિયુક્ત થયેલા અશોક ભગુભાઈ પટેલને મહામંત્રી પદની અપેક્ષા હતી, પરંતુ તેમને ઉપપ્રમુખ બનાવવામાં આવતા તેઓ નારાજ થયા છે. 'પાર્ટી માટે લોહી રેડ્યુ પણ અવગણના થઇ'નારાજ હોદ્દેદારોએ છેલ્લા 5 દિવસ અગાઉ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. ત્યારબાદ તેઓએ જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે જઈને પ્રમુખની ગેરહાજરીમાં તેમના ટેબલ પર રાજીનામાં મૂકી દીધા હતા. કાર્યકરોનો આક્ષેપ છે કે પક્ષ માટે લોહી રેડનાર કરનારાઓની અવગણના કરવામાં આવી છે. ભાજપ માટે કપરી સ્થિતિ સર્જાવાની શક્યતાલાંબા સમયથી નવસારી જિલ્લા સંગઠન અને જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલ વચ્ચે આંતરિક ખેંચતાણ ચાલી રહી હોવાની ચર્ચાઓ છે. આ 'કોલ્ડવોર' હવે રાજીનામાના સ્વરૂપે બહાર આવતા આગામી જિલ્લા-તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ માટે કપરી સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે. આજે આ સભ્યોએ રાજીનામા આપ્યાઆજે રાજીનામું આપનાર મુખ્ય સભ્યોમાં ધર્મેશભાઈ વલ્લભભાઈ પટેલ (ઉપપ્રમુખ, જલાલપોર તાલુકા ભાજપ), પ્રકાશ જી. દેસાઈ (કાર્યાલય મંત્રી, જલાલપોર તાલુકા ભાજપ), ભાવેશભાઈ છોટુભાઈ પટેલ (મંત્રી), નિલેશભાઈ ચંદ્રકાંતભાઈ પટેલ (મંત્રી), અજય કુમાર લલ્લુભાઈ પટેલ (ઉપપ્રમુખ), રાકેશ કુમાર ભીખુભાઈ પટેલ (મંત્રી), હર્ષા એમ. પટેલ (મંત્રી), ભવિષા ધર્મેશ રાઠોડ (મંત્રી), ઝંખના જે. પટેલ (મંત્રી) અને વીણા કલ્પેશ પટેલ (મંત્રી) નો સમાવેશ થાય છે. 'ભાજપ લોહીમાં છે, પણ અન્યાય સહન નહીં થાય'રાજીનામું આપનાર કેતન પટેલે જણાવ્યું કે, અમે જિલ્લામાં ભાજપને ઊભી કરવામાં લોહી રેડ્યું છે, પરંતુ જલાલપોરને હજુ સુધી એક પણ પ્રમુખ કે મહામંત્રીનો હોદ્દો મળ્યો નથી. અમે હોદ્દા પરથી રાજીનામું આપી રહ્યા છીએ, પરંતુ ભાજપના સક્રિય કાર્યકર તરીકે કામ ચાલુ રાખીશું. આગામી સમયમાં જલાલપોર તાલુકા સંગઠનમાંથી વધુ રાજીનામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે, જે ભાજપ હાઈકમાન્ડ માટે મોટી ચિંતાનો વિષય બની શકે છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 1:26 pm

રાફેલ બાદ વધુ એક મોટો નિર્ણય! ભારતે રશિયા સાથે કરી 10 હજાર કરોડ રૂપિયાની ડીલ, દુશ્મન દેશોનું ટેન્શન વધશે

S-400 Missiles: ભારતીય સંરક્ષણ મંત્રાલયની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ(DAC) દ્વારા ગુરુવારે અનેક ઐતિહાસિક સંરક્ષણ સોદાઓને મંજૂરી આપવામાં આવી છે. આ બેઠકના સૌથી મહત્ત્વના નિર્ણય અનુસાર, ભારત રશિયા પાસેથી ₹10,000 કરોડના ખર્ચે વિશ્વની સૌથી શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમ S-400 માટે વધુ 288 મિસાઈલો ખરીદશે. ગયા વર્ષે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન S-400ની પ્રચંડ તાકાત જોઈને સમગ્ર વિશ્વ દંગ રહી ગયું હતું, ત્યારે આ નવી ખરીદી ભારતની આકાશી સરહદોને એક મજબૂત કિલ્લામાં ફેરવી દેશે. આ સોદા અંતર્ગત 120 ટૂંકા અંતરની અને 168 લાંબા અંતરની મિસાઈલોની ખરીદી 'ફાસ્ટ ટ્રેક મોડ' પર કરવામાં આવશે. ઓપરેશન સિંદૂર: S-400નો સચોટ પ્રહાર

ગુજરાત સમાચાર 13 Feb 2026 1:26 pm

શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં બોર્ડ પરીક્ષા સમીક્ષા:ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા તૈયારીઓની ચર્ચા કરાઈ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓની તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ હતી, જેમાં શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અધ્યક્ષસ્થાને રહ્યા હતા. શિક્ષણ (રાજ્ય) મંત્રી રીવાબા જાડેજા પણ આ બેઠકમાં ઉપસ્થિત હતા. આ ઉપરાંત, બનાસકાંઠા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક પણ યોજાઈ હતી. કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં જિલ્લા પરીક્ષા સમિતિના સભ્યો અને શૈક્ષણિક સંસ્થાઓના માન્ય સંઘોના હોદ્દેદારો હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન, કલેક્ટરે પરીક્ષા સંબંધિત તમામ વિભાગોની સામેલગીરી સુનિશ્ચિત કરવા સૂચનો કર્યા હતા અને તેમની કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ વિદ્યાર્થીઓના હિતને કેન્દ્રમાં રાખીને તંદુરસ્ત વાતાવરણમાં યોજાવી જોઈએ. જિલ્લાના તમામ પરીક્ષાર્થીઓ માટે ભયમુક્ત વાતાવરણ નિર્માણ થાય તે હેતુથી તમામ હેલ્પલાઈન નંબર જાહેર કરવા પણ સૂચના આપવામાં આવી હતી. જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. હિતેશ પટેલે ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે કચેરી દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે માહિતી આપી હતી કે બનાસ પરીક્ષા પથદર્શક અને સફળતાનું પંચામૃત જેવી પહેલો છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ છે. કલેક્ટરે સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર વિશેષ તકેદારી રાખવા અને ભયમુક્ત વાતાવરણનું નિર્માણ કરવા માટે પણ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 1:19 pm

પત્નીને ભગાડી જનાર યુવકના માતા-પિતાના લાકડી-પાઈપથી ફટકાર્યા:ઘરમાં ઘૂસી આધેડ દંપતી પર હુમલો; વાડી પોલીસ કાર્યવાહી ન કરતી હોવાનો આક્ષેપ

વડોદરા શહેરના વાડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા મહાનગર વુડાનાં મકાનમાં એક વ્યક્તિએ આધેડ પતિ-પત્ની પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા દંપતીને હાલતમાં સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અહીં ઇજાગ્રસ્ત આધેડે વાડી પોલીસે કાર્યવાહી નહીં કરી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. પોલીસે ફરિયાદ ન લીધી હોવાનો પીડિતનો આક્ષેપવડોદરા શહેરમાં પ્રતાપનગર ડભોઇ રોડ પર આવેલ મહાનગર વુડાના મકાનોમાં રહેતો એક યુવક તે જ વિસ્તારમાં રહેતી એક પરિણીતાને લઈને પલાયન થઈ ગયો હતો. જે બાદ આ મહિલાના પતિ અર્જુન વસાવાએ યુવકના માતા-પિતાને ધાક-ધમકી આપવાનું શરૂ કર્યું હતું. જે અંગે વાસુભાઈ મહિપતભાઈ શિંદેએ વાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા ગયા હતા, પરંતુ તેઓના આક્ષેપ પ્રમાણે વાડી પોલીસે તેઓની ફરિયાદ લીધી નહોંતી. આસપાસના લોકો આવી જતાં આરોપી ફરારત્યારે આજરોજ પરિણીત મહિલાનો પતિ સવારે વાસુભાઈ શિંદેના ઘરે પહોંચી તેમના પર લાકડી-પાઈપથી માર માર્યો હતો. જે હુમલામાં વાસુભાઇ સિંદે અને તેમના પત્ની કલ્પનાબેનને ગંભીર ઇજાઓ પહોંચતા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. હુમલા દરમિયાન આસપાસના લોકો આવી જતા હુમલાખોર ત્યાંથી પલાયન થઈ ગયો હતો. પોલીસ અમારી ફરિયાદ લેતી નથીઃ વાસુભાઈ આ ઘટના અંગે ઇજાગ્રસ્ત વાસુભાઈ મહિપતભાઈ શિંદેએ જણાવ્યું હતું કે, મારો દીકરો યુવતીને લઈને ભાગી ગયો છે. તેનો પતિ અર્જુન વસાવા અમને ધમકી આપે છે અને કહ્યું કે, મેં પોલીસને દસ હજાર રૂપિયા આપ્યા છે, તે મને કઈ કરશે નહીં. આક્ષેપો બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ: ACPઆ મામલે એસીપી જી. ડી. પલસાણાએ જણાવ્યું હતું કે, આ બનાવ અંગે અમે તપાસ કરી રહ્યા છીએ. અમારી ટીમ ત્યાં પહોંચી છે અને વૃદ્ધ દંપતીની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલી રહી છે. આક્ષેપો બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 1:19 pm

મહિલાઓ નાઇટ શિફ્ટ કરી શકશે?:આવનારા વિધાનસભા સત્રમાં બિલ રજૂ થવાની શક્યતા, સુરક્ષા પર ફોક્સ

રાજ્યમાં IT, સેમિકન્ડક્ટર અને હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોને 24 કલાક કાર્યક્ષમ બનાવવા સરકાર કાનૂની સુધારા તરફ આગળ વધી રહી છે. મહિલાઓને રાત્રિ શિફ્ટમાં કામ કરવાની મંજૂરી આપવા માટે મજૂરી કાયદામાં ફેરફારનો પ્રસ્તાવ તૈયાર થયો હોવાનું સૂત્રો જણાવે છે. હાલ કાયદો અમલમાં આવ્યો નથી, પરંતુ આવનારા વિધાનસભા સત્રમાં બિલ રજૂ થવાની શક્યતા છે. ‘મહિલાઓને રાત્રિ શિફ્ટમાં કામ કરવાની મંજૂરી મળશે’ઉદ્યોગ ક્ષેત્રે વધતા વૈશ્વિક પ્રોજેક્ટ્સ અને રોકાણોને ધ્યાનમાં રાખીને કુશળ મહિલા માનવશક્તિનો ઉપયોગ વધારવો જરૂરી બન્યો છે. સરકારનો લક્ષ્ય આગામી ચાર વર્ષમાં આ ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી 40 ટકા સુધી પહોંચાડવાનો છે. ફરજિયાત પિક-અપ અને ડ્રોપ જેવી જોગવાઈઓ કડક રીતે અમલમાં મૂકવાની શરતપ્રસ્તાવ મુજબ, રાત્રિ શિફ્ટમાં કામ કરતી મહિલાઓ માટે સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા રહેશે. ફરજિયાત પિક-અપ અને ડ્રોપ, કાર્યસ્થળે સીસીટીવી, મહિલા સુરક્ષા અધિકારી, ઇમરજન્સી હેલ્પલાઈન અને આરામ સમય જેવી જોગવાઈઓ કડક રીતે અમલમાં મૂકવામાં આવશે. ઓવરટાઈમ અને અન્ય કામકાજની શરતો પણ સ્પષ્ટ કરવામાં આવશે. સુરક્ષા જોગવાઈઓને વધુ મજબૂત બનાવવા મહિલા સંગઠનોની માગઉદ્યોગ જગત આ સુધારાની રાહ જોઈ રહ્યું છે, જ્યારે મહિલા સંગઠનો સુરક્ષા જોગવાઈઓને વધુ મજબૂત બનાવવા માગ કરી રહ્યા છે. હવે નજર વિધાનસભા સત્ર પર છે, જો બિલ પાસ થશે તો રાજ્યના ઉદ્યોગ અને મહિલા રોજગાર ક્ષેત્રે મહત્વપૂર્ણ પરિવર્તન જોવા મળશે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 1:14 pm

ગોધરા રેલવે સ્ટેશને અરબી સહિતનું લખાણ દૂર કરાયું:રેલવેની બેદરકારીથી ઉર્દૂને બદલે વિદેશી ભાષા સાથેનું સાઈન બોર્ડ લગાવાયું, ભૂલ ધ્યાને આવતાં હટાવી લેવાયું

કેન્દ્ર સરકારની 'અમૃત ભારત સ્ટેશન યોજના' હેઠળ નવનિર્મિત ગોધરા રેલવે સ્ટેશન પર થયેલી ભાષાકીય ભૂલ મુદ્દે રેલવે તંત્રએ સુધારાત્મક કાર્યવાહી કરી છે. પ્લેટફોર્મ નંબર 3, 4 અને 5 પર લગાડવામાં આવેલા સાઈન બોર્ડ પર ઉર્દૂને બદલે અરબી લિપિનો પ્રયોગ થયો હતો. જેનો અહેવાલ 7 ફેબ્રુઆરીના રોજ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર સફાળું જાગ્યું છે. સમગ્ર ઘટના શું હતી?અમૃત ભારત યોજના અંતર્ગત કરોડોના ખર્ચે ગોધરા રેલવે સ્ટેશનનો કાયાકલ્પ કરવામાં આવ્યો છે. સ્ટેશનના આધુનિકીકરણના ભાગરૂપે વિવિધ પ્લેટફોર્મ પર માર્ગદર્શક સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા હતા. રેલવેના નિયમ મુજબ સ્ટેશનનું નામ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ઉપરાંત ચોથી ભાષા તરીકે ઉર્દૂમાં લખવાનું હોય છે. જોકે, ગોધરા સ્ટેશનના નવા બોર્ડ પર ઉર્દૂના સ્થાને અરબી ભાષામાં લખાણ લખવામાં આવ્યું હતું. અહેવાલની અસરઆ ગંભીર ભાષાકીય ક્ષતિ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થતા જ સ્થાનિક મુસાફરો અને ભાષાના નિષ્ણાતોમાં નારાજગી જોવા મળી હતી. અહેવાલના પગલે ઉચ્ચ કક્ષાએથી મળેલી સૂચના બાદ રેલવે તંત્રએ તાત્કાલિક ધોરણે પ્લેટફોર્મ નંબર 3, 4 અને 5 પરથી વિવાદિત લખાણ દૂર કર્યું છે. ભૂલનો સ્વીકાર: રેલવે તંત્રએ પોતાની ગંભીર ક્ષતિ સ્વીકારીને લખાણ હટાવવાની કામગીરી પૂર્ણ કરી. નવી પ્રક્રિયા: હાલમાં આ સાઈન બોર્ડ પર નિયમ મુજબ સાચી લિપિમાં લખાણ લખવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સ્ટેશનનો કાયાકલ્પ: આધુનિક સુવિધાઓ સાથે સ્ટેશનને સજ્જ કરવામાં આવ્યું છે, જેમાં હવે ભાષાકીય ચોકસાઈ પર પણ ધ્યાન આપવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 1:08 pm

PM નરેન્દ્ર મોદી ગૌહાટીથી વર્ચ્યુલ રીતે જોડાશે:મહાનગરપાલિકાના 8 કિલોમીટર થી વધુના અંતર સુધી માં 5 રૂપિયા થી લઈ 20 રૂપિયા સુધી ભાડું નિયત કરાયું

આવતીકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતમાં શહેર ના આઠ રૂટ પર સીટી બસ સેવાનો પ્રારંભ થશે આવતીકાલે મહાનગરપાલિકાના 45માં સ્થાપના તથા શહેરમાં છેલ્લા ઘણા સમયથી સીટી બસ સેવા શરૂ કરવા તંત્ર દ્વારા તડા માર તૈયારીઓ કરવામાં આવી રહી છે, ત્યારે આવતીકાલે PM નરેન્દ્ર મોદીની વર્ચ્યુલ હાજરી તથા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પ્રથમ તબક્કામાં આઠ રૂટ પર સીટી બસ સેવા શરૂ કરવામાં આવશે. 24 કરોડના ખર્ચે 100 બસો માટે પાર્કિગ માટે બસ ડેપો 14 ફેબ્રુઆરીએ નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી લીલી જંડી ફરકાવીને બસ સેવાનું લોકાર્પણ કરનાર છે તે માટે સમગ્ર કાર્યક્રમનો તખ્તો તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને આ લોકાર્પણને લઈને મનપા ના 16 જેટલા અધિકારીઓને જવાબદારી પણ સોંપવામાં આવી છે આમ લાંબા સમય બાદ લોક આતુરતાનો અંત આવ્યો છે ત્યારેે આવતીકાલે શનિવારે બપોરે 12:30 કલાકે અધેવાડા સીટી બસ ડેપો ખાતે પ્રથમ ફેઝનુ લોકાર્પણ યોજાશે, જે માટે શહેરના અધેવાડા નજીક આવેલ ડી-માર્ટ ની સામે અંદાજિત 24 કરોડના ખર્ચે 100 બસો માટે પાર્કિગ, વર્કશોપ બિલ્ડીંગ, એડીમીનીસ્ટ્રેટિવ બિલ્ડીંગ અને ચાર્જીગ HT/LT પેનલ રૂમ સાથેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. બસનું 5 રૂપિયા થી લઈ 20 સુધીનું ભાડું પ્રથમ ફેઝમાં આઠ રૂટ પર સીટી બસ શરૂ કરવામાં આવશે, આ બસમાં ભાડું પણ તદ્દન વ્યાજબી નક્કી કરવામાં આવ્યું છે રૂપિયા 5 થી લઈને 20 રૂપિયા સુધીનાં ટીકીટ દર રાખવામાં આવ્યા છે, 0 થી 3 કિલોમીટર સુધી રૂપિયા 5, 3 થી 5 કિલોમીટર સુધી રૂપિયા 10, 5 થી 8 કિલોમીટર સુધીમાં રૂપિયા 15 તથા 8 કિલોમીટર સુધીમાં 20 રૂપિયા નું ભાડું રાખવામાં આવ્યું છે, આગામી 12 વર્ષ સુધી બીએમસી દ્વારા સીટી બસનું સંચાલન કરવામાં આવશે એવું કમિશનરે જણાવ્યું છે આઠ રૂટ પર સફળતાપૂર્વક ટ્રાયલ પૂર્ણ થયા બાદ રૂટની સંખ્યામાં વધારો કરવામાં આવશે ઉપરાંત અન્ય ફેરફારો પણ કરવામાં આવશે. ​બસની મુખ્ય વિશેષતાઓ અને સુવિધાઓ ​આ નવી ઈલેક્ટ્રિક બસો મુસાફરો માટે આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ કરાવશે, ​સંપૂર્ણ એસી અને હાઈટેક તમામ બસો સંપૂર્ણપણે એરકન્ડિશન્ડ છે બસમાં કેપેસિટી 25 મુસાફરોની બેસવાની ક્ષમતા,​ સુરક્ષા માટે બસમાં 4 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, દિવ્યાંગો માટે ટ્રાયસિકલ સાથે ચડવા માટેની ખાસ વ્યવસ્થા, ઓટોમેટિક દરવાજા અને મુસાફરો માટે સ્પેશિયલ હેન્ડલ્સ, આ બસ મહત્તમ 75 કિમી/કલાકની ઝડપે દોડી શકશે. ​રૂટ અને આયોજન ​શહેર 13 વોર્ડમાં ના અલગ-અલગ 8 રૂટ પર આ બસો દોડાવવાનું આયોજન છે, અંદાજે 8 કિમીની પેરીફેરીમાં આ સેવાનો લાભ મળશે, મુસાફરોની સુવિધા માટે શહેરમાં 150 જેટલા નવા પીકઅપ બસ સ્ટેન્ડ પણ બનાવવામાં આવ્યા છે, મેયર એ જણાવ્યું હતું કે, આ માટે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું,​ભાવનગરના લોકોને આ બસ સેવાથી રિક્ષા ભાડામાંથી મુક્તિ મળશે, તેનો મને ખૂબ જ આનંદ છે. ગુજરાતમાં સૌથી પહેલો બસ ડેપો તૈયાર આ સાથે ભાવનગરમાં જે બસ ડેપો બનાવવામાં આવ્યો છે તે 24 કરોડના ખર્ચે ગુજરાતમાં સૌથી પહેલો બસ ડેપો તૈયાર કરી, આજે અમને ગૌરવ છે કે મેયરના નેતૃત્વમાં આ પહેલો ડેપો અને બસ ડિલિવરી મેળવવાની તક મળી છે, ​સાથે સાથે 14 કરોડના ખર્ચે ઓપરેશન અને મેન્ટેનન્સ માટે, ડ્રાઈવર-કંડક્ટરો માટે પણ મંજૂરી આપી દેવામાં આવી છે, ભાવનગરને 8 રૂટ ઉપર અલગ અલગ જગ્યાએ પ્રાથમિક ધોરણે રૂટો નક્કી કર્યા છે, લોકોને 8 કિલોમીટરની પેરીફેરીમાં આ બસની સુવિધાઓ મળવાની છે, રુટ પરથી નડતરરૂપ દબાણો હટાવ્યા 14 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી ઈ-બસ સેવાનો પ્રારંભ થવા નો છે તેના ભાગરૂપે 17 રુટ નક્કી કરવામાં આવ્યા છે ત્યારે તેના ભાગરૂપે ​આગામી સમયમાં અંદાજે 50 જેટલી ઈ-બસો ગંગાજળિયા બસ સ્ટેશન ખાતે આવવાની હોવાથી, અને આજુબાજુ લોકો હોય તેઓ તેને ધ્યાનમાં રાખી ને જર્જરિત બિલ્ડીંગ ઉતારી લેવામાં આવી હતી તેમજ મહાનગરપાલિકા દ્વારા વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી, જેમાં બસોની સુચારૂ અવરજવર માટે રોડ પર નડતરરૂપ તમામ કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા, તેમજ રુટ પર આવતા તમામ રિક્ષાઓ કે અન્ય વાહનો કે દબાણો અડચણરૂપ હટાવી લેવામાં આવ્યા છે, મહાનગરપાલિકાના 45 માં સ્થાપના દિવસની ઉજવણી પણ કરાશે આગામી 14 ફેબ્રુઆરી એ પીએમ ઈ-સીટી બસ લોકાર્પણ સમારોહ સાથોસાથ ભાવનગર મહાનગરપાલિકા નગરપાલિકા માંથી મહાનગરપાલિકાના માં સ્થાપના થયાના 45 માં સ્થાપના દિવસની ઉજવણી પણ કરવામાં આવનાર છે જે અંતર્ગત લાઈવ મ્યુઝિક બેન્ડ સાથે લોકનૃત્યનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે, આવતીકાલે શનિવારે રાત્રે 8 કલાકે કૈલાસ વાટીકા-બોરતળાવ ખાતે યોજાનાર કોન્સર્ટ માં લેડી સિંગર સાંત્વની ત્રિવેદી અને ખ્યાતનામ ગુજ્જુ અભિનેત્રી મમતા સોની આ પ્રોગ્રામમાં પર્ફોર્મન્સ કરશે, બસ સેવા લોકાર્પણ તથા 45 માં સ્થાપના રાજકીય, સામાજિક, અગ્રણીઓ, કલાકારો સહિતનાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આગામી દિવસોમાં શરૂ થનાર સીટી બસના 17 રૂટ નક્કી કરાયા. ગંગાજળિયા સ્ટેશનથી ટોપથ્રી સિનેમા સુધી ( ગંગાજળિયા તળાવ, માધવ દર્શન, આતાભાઈ ચોક, ડી-માર્ટ, ટોપથ્રી સિનેમા) - 7.15 કિમિ. ઇનર સરર્ક્યુલર ( ગંગાજળિયા તળાવ, ક્રેસન્ટ, વાલકેટ ગેટ, ટેકરી ચોક, બોરડી ગેટ, દિપક ચોક, મહિલા કોલેજ, રવેચી, મંત્રેશ, શિવાજી સર્કલ, દુઃખી શ્યામ, રામમંત્ર, પાણીની ટાંકી, આર.ટી.ઓ, કુંભારવાડા પાણીની ટાંકી, અલકા ટોકીઝ, ચાવડી ગેટ, પાનવાડી, ગંગાજળિયા તળાવ)-17.79 કિમિ. સીદસર સીટીથી રુવાપરી ( સીદસર ગામ ચોક, આર.ટી.ઓ સર્કલ, કલેકટર ઓફીસ, કાળાનાળા સર્કલ, ગંગાજળિયા તળાવ, રૂવાપરી) - 15.79 કિમિ. ગંગાજળિયા તળાવથી અધેવાડા ( ગંગાજળિયા તળાવ, હલુરીયા ચોક, મહિલા કોલેજ સર્કલ, શિવાજી સર્કલ, રીંગરોડ, અધેવાડા ગામ) - 8.14 કિમિ. ગંગાજળિયા તળાવથી માલણકા ( ગંગાજળિયા તળાવ, જશોનાથ સર્કલ, ઘોઘા સર્કલ, ભરત નગર ચોકડી, તરસમિયા, માલણકા ગામ) - 8.67 કિમિ. ગંગાજળિયા તળાવથી અકવાડા (ગંગાજળિયા તળાવ, જશોનાથ સર્કલ, રિલાયન્સ માર્ટ, રેલ્વે સ્ટેડિયમ, શિવાજી સર્કલ, અકવાડાગામ) - 8.13 કિમિ. ગંગાજળિયા તળાવથી ફુલસર (ગંગાજળિયા તળાવ, એસ.ટી સ્ટેન્ડ, વિશ્વકર્મા સર્કલ, આર.ટી.ઓ. સર્કલ, રામદેવનગર, ફુલસર) - 8.70 કિમિ. ગંગાજળિયા તળાવથી ઓઝ સ્કૂલ (ગંગાજળિયા તળાવ, જશોનાથ સર્કલ, શામળદાસ કોલેજ, સરદાર પટેલ ઇન્સ્ટટ્યૂટ, ઓ.એ.જે કોલેજ) - 10.87 કિમિ. ભંડારીયાથી રેલ્વે સ્ટેશન ( ભંડારીયા, અધેવાડા, ટોપથ્રિ સર્કલ, ભરતનગર ચોકડી, જશોનાથ સર્કલ, રેલ્વે ટર્મિનસ) - 25.10 કિમિ. ગંગાજળિયા તળાવથી કમળેજ (ગંગાજળિયા તળાવ, એસ.ટી.સ્ટેન્ડ, વિશ્વકર્મા સર્કલ, નારી ચોકડી, કમળેજ ગામ) - 14.57 કિમિ. સિહોરથી ગંગાજળિયા તળાવ (સિહોર, રંગોળી ચોકડી, નાની ખોડિયાર, નારી ચોકડી, આર.ટી.ઓ. સર્કલ, એસ.ટી.સ્ટેન્ડ, ગંગાજળિયા તળાવ) - 20.70 કિમિ. દેવગાણાથી એસ.ટી.સ્ટેન્ડ ( દેવગાણા, વાળુંકડ હાઈસ્કૂલ, સીદસર, ઇસ્કોન કલબ, એસ.ટી સ્ટેન્ડ, ગંગાજળિયા તળાવ) - 28.34 કિમિ. રેલ્વે સ્ટેશનથી ઘોઘા/મલેકવદર (રેલ્વે સ્ટેશન, ઘોઘા સર્કલ, શિવાજી સર્કલ, સહજાનંદ સ્કૂલ બાયપાસ, ઘોઘા, મલેકવદર) - 19.93 કિમિ. કાળાતળાવથી એસ.ટી.સ્ટેન્ડ (કાળાતળાવ, કામધેનુ ગૌશાળા, ભાવનગર ટર્મિનસ, આર.ટી.ઓ સર્કલ, ભાવનગર પરા) - 12.80 કિમિ. ગંગાજળિયા તળાવથી નેસડા ( ગંગાજળિયા તળાવ, આર.ટી.ઓ સર્કલ, નારી ચોકડી, કરદેજ ગામ, નેસડા ગામ) - 18.92 કિમિ. ગંગાજળિયા તળાવથી સોડવદરા ( ગંગાજળિયા તળાવ, આર.ટી.ઓ સર્કલ, નારી ચોકડી, વરતેજ સીદસર ચોકડી, સોડવદરા) - 14.77 કિમિ. આનંદનગરથી સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક કોલેજ ( આનંદનગર, મહિલા કોલેજ, ઘોઘા સર્કલ, સંસ્કાર મંડળ, હિલપાર્ક ચોકડી, સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક કોલેજ) - 9.21 કિમિ. આ તમામ ઈ-બસ જે તે રૂટ અને ગંતવ્ય સ્થાન સુધી જઈ એજ રૂટ પરથી ગંગાજળિયા પરત ફરશે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 12:51 pm

સોમનાથ રોડ પરની સિદ્ધાર્થ સોસાયટીમાં ચોરી:તસ્કરોએ બંધ ઘરના તાળાં તોડી 67 હજારની મતા ચોરી

મહેસાણા શહેરમાં સોમનાથ રોડ પર આવેલ સિદ્ધાર્થ સોસાયટીમાં આવેલા એક બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો આશરે 67,300 રૂપિયાની મતા ચોરી કરી પલાયન થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. મૂળ મહેસાણાના અને હાલ સુરેન્દ્રનગર ખાતે સ્થાયી થયેલા પરિવારોના બંધ મકાનમાં આ ચોરીની ઘટના બની છે, જે અંગે મહેસાણા 'એ' ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ભત્રીજાએ મકાનની લાઈટો ચાલુ જોતા શંકા ગઈફરિયાદી અરુણાબેન ગિરીશભાઈ પરમાર સુરેન્દ્રનગર ખાતે રહે છે અને તેમનું મહેસાણા સ્થિત મકાન મોટાભાગે બંધ રહે છે. ગત 10 ફેબ્રુઆરીની રાત્રિથી 11 ફેબ્રુઆરીની રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઇસમોએ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ગત 11 ફેબ્રુઆરીની રાત્રે ફરિયાદીના ભત્રીજાએ મકાનની લાઈટો ચાલુ જોતા શંકા ગઈ હતી. તપાસ કરતા ઘરનો સામાન વેરવિખેર હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે ફરિયાદ દાખલ કરીતસ્કરોએ ઘરમાં રાખેલી તાંબાની ગોળી,પિતળનું બેડું, તાંબાનું બેડું તેમજ સ્ટોર રૂમમાં રાખેલા ચાંદીના 20 સિક્કા આશરે 56,000 રૂપિયાની કિંમતના અને ચાંદીની લગડી સહિત કુલ 67,300 રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી હતી. આ મામલે અરુણાબેને મહેસાણા 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તસ્કરોને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 12:48 pm

રાજકોટમાં સૌપ્રથમ ગ્લો ગાર્ડન બનશે:રેસકોર્સમાં રૂ. 1 કરોડના ખર્ચે આધુનિક લાઇટિંગ દ્વારા સ્વપ્ન જેવી દુનિયા ઉભી કરાશે, બાળકો માટે મુખ્યત્વે આકર્ષણનું કેન્દ્ર બનશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના હૃદય સમાન રેસકોર્સ ગાર્ડન ખાતે રૂ. 10,000,000 (રૂ. 1 કરોડ) ના ખર્ચે શહેરનું સૌ પ્રથમ 'ગ્લો ગાર્ડન' બનાવવાની મહત્વકાંક્ષી જાહેરાત કરવામાં આવી છે. આગામી નાણાંકિય વર્ષ 2026-27 ના બજેટમાં આ પ્રોજેક્ટને સ્થાન આપીને હાલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોના મનોરંજનમાં એક નવું નજરાણું ઉમેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ગ્લો ગાર્ડન માત્ર એક બગીચો જ નહીં, પરંતુ રાત્રિના સમયે પ્રકાશ અને કલાના સમન્વયથી ઉભું કરવામાં આવેલું એક અદભૂત વિશ્વ હશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય રાજકોટના નાગરિકો અને ખાસ કરીને બાળકોને આંતરરાષ્ટ્રીય કક્ષાનું મનોરંજન પૂરું પાડવાનો છે. પ્રદ્યુમન પાર્ક, રામવન અને અટલ સરોવર જેવા સફળ પ્રવાસન સ્થળોની યાદીમાં હવે આ ગ્લો ગાર્ડનનો પણ સમાવેશ થશે, જે શહેરના પર્યટન મૂલ્યમાં વધારો કરશે. આ ગ્લો ગાર્ડનની વિશેષતાઓ વિશે વાત કરીએ તો, અહીં અદ્યતન ટેકનોલોજી અને આધુનિક લાઇટિંગ ઇફેક્ટ્સનો ભરપૂર ઉપયોગ કરવામાં આવશે. બગીચામાં વિવિધ પશુ-પક્ષીઓના વિશાળ કદના મોડેલ્સ તૈયાર કરવામાં આવશે, જે રાત્રિના અંધકારમાં ઝળહળી ઉઠશે. આ મોડેલ્સમાં વપરાતી લાઈટિંગ એવી રીતે ગોઠવવામાં આવશે કે તે કુદરતી આભા પેદા કરે. બાળકો માટે આ એક સ્વપ્ન જેવી દુનિયા હશે, જ્યાં બગીચાના વૃક્ષો અને છોડવાઓને પણ એલ.ઈ.ડી. અને ફાઈબર ઓપ્ટિક્સ જેવી ટેકનોલોજીથી શણગારવામાં આવશે, જેથી આખું પરિસર રાત્રે દૂધિયા અને રંગીન પ્રકાશથી ઝળહળતું રહેશે. આ ગાર્ડનનું નિર્માણ કાર્ય મે-2027 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ તૈયાર થયા બાદ રેસકોર્સ વિસ્તારની રોનક બદલાઈ જશે. સાંજ પછી જ્યારે શહેરની લાઈટો શરૂ થાય, ત્યારે ગાર્ડન પોતાની ખાસ લાઇટિંગ ઇફેક્ટ્સથી લોકોનું ધ્યાન આકર્ષિત કરશે. મનપા દ્વારા આ ગાર્ડનમાં સેલ્ફી પોઈન્ટ્સ, આકર્ષક વોક-વે અને બેઠક વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવશે, જેથી મુલાકાતીઓ આરામથી આ અદભૂત નજારાનો આનંદ માણી શકે. આ પ્રોજેક્ટ માટે રૂ. 10,000,000 ની રકમ ફાળવીને વહીવટી પ્રક્રિયાઓ પણ ઝડપી કરવામાં આવી છે. રેસકોર્સ ગ્લો ગાર્ડન માત્ર મનોરંજન જ નહીં, પરંતુ રાજકોટના આધુનિકીકરણ અને 'સ્માર્ટ સિટી' ના અભિગમને પણ વેગ આપશે. ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા દ્વારા પ્રદ્યુમન પાર્ક પાસે આકાર લઈ રહેલા લાયન સફારી પાર્કમાં પણ એન્ટ્રન્સ પ્લાઝામાં લોન એરિયા, વેસ્ટ ટુ વન્ડર, કેક્ટસ થીમ ગાર્ડન, બફર ટ્રી પ્લાન્ટેશન, ફ્લાવર બેડ, બાંબૂ ગ્રાસ થીમ ગાર્ડન, ફાઈકસ અને બોગનવેલ થીમ ગાર્ડન સહિત બટરફલાય લેન્ડસ્કેપ ડિઝાઈન જેવા વિવિધ આકર્ષણો વિકસાવવામાં આવશે. તેમજ બોટનીકલ ગાર્ડન, નવા બગીચાઓ, અને વિવિધ સ્થળોએ બાલ ક્રિડાંગણ તથા ફિઝીકલ ફિટનેસના સાધનો મૂકવાનું આયોજન છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 12:43 pm

હાથમાં દારૂની બોટલ, તલવાર-ધારિયાથી યુવકને લોહીલુહાણ કર્યો:ભાવનગરમાં ત્રણ શખસે મળી આડેધડ ઘા માર્યો, માથા-નોઢાના ભાગે ગંભીર; માતાની રોકકળ

ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં ગતમોડી રાતે ઘાતક હુમલાની ઘટના સામે આવી છે. શહેરના નારીરોડ રામદેવનગર ખાતે રહેતા યુવક પર સામાન્ય બોલાચાલીમાં ત્રણ શખસે તલવાર, ધારિયું અને છરી વડે હુમલી કરી લોહીલુહાણ કર્યો હતો. યુવકને માથા અને મોઢાના બાગે ગંભીર ઈજા થતાં સારવાર અર્થે સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મારામારીની ઘટના સમયનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બેથી ત્રણ શખસના હાથમાં હથિયારો જોવા મળી રહ્યાં છે. એક યુવકના હાથમાં તલવાર અને દારૂની બોટલ પણ જોવા મળી હતી. હાલમાં પોલીસે ત્રણ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદને મામાના દીકરાએ ઘટનાની જાણ કરીબોરતળાવ પોલીસ મથકથી મળતી માહિતી મુજબ, કુંભારવાડા નારીરોડ પર આવેલા રામદેવનગર વિસ્તારમાં રહેતા કાળુભાઈ રમેશભાઈ ચૌહાણે ફરિયાદ નોંધાવી છે, જેમાં 12 ફેબ્રુઆરની રાત્રે તેઓ પોતાના ઘરે હાજર હતાં. આ સમયે તેમના મામાના દીકરાએ દોડી આવી તેમના સાળા સંજય ઉર્ફે સાંગા પર વસરામભાઈની દુકાન પાસે રાહુલ ઉર્ફે ઢેલ, તેનો ભાઈ સંદીપ ઉર્ફે સુનો અને એક અજાણ્યા વ્યક્તિએ હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું. ફરિયાદી સ્થળે જતા નાનો સાળો ગંભીર હાલતમાં પડ્યો હતોવાકત સાંભણીને તાત્કાલિક કાળુભાઈ બનાવ સ્થળે પહોંચ્યા હતા, જ્યાં લોકોની ભીડ એકત્રિત થઈ હતી અને સંજય ઉર્ફે સાંગા લોહીલુહાણ હાલતમાં નીચે પડેલો જોવા મળ્યો હતો. તેમના માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ જણાતાં 108 એમ્બ્યુલન્સ મારફતે તેને તાત્કાલિક સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મોટાભાઈની બબાલમાં જતાં આરોપીએ લોહીલુહાણ કર્યોપ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મોટો સાળો કાંતી વસરામભાઈની દુકાન પાસેથી પસાર થતી વખતે આરોપીઓની બોલાચાલી થઈ હતી અને એક થપ્પડ મારવામાં આવી હતી. આ બાબતે વાત કરવા નાના સાળા સંજય ઉર્ફે સાંગા ત્યાં પહોંચતા જ રાહુલ ઉર્ફે ઢેલે તલવાર વડે, સંદીપ ઉર્ફે સુનોએ ધારિયા વડે અને અજાણ્યા વ્યક્તિએ છરી વડે માથા અને મોઢાના ભાગે આડેધડ ઘા મારી ઈજાઓ પહોંચાડી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરીહાલમાં આ મામલે ફરિયાદના આધારે બોરતળાવ પોલીસે રાહુલ ઉર્ફે ઢેલ, સંદીપ ઉર્ફે સુનો અને એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ BNS કલમ 109(1), 115(2), 54 તથા જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 12:35 pm

ગોધરા-પરવડી બાયપાસ પર અકસ્માત:ઈકો અને બાઇક અથડાતા માંડલીનો યુવાન ગંભીર રીતે ઘાયલ

ગોધરાના પરવડી બાયપાસ ચોકડી પર એક માર્ગ અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં ઈકો ગાડી અને મોટરસાઇકલ વચ્ચે ટક્કર થતાં બાઇક સવાર યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. મળતી માહિતી અનુસાર, માંડલી ગામના રહેવાસી રાકેશભાઈ ખાટ પોતાના બાઇક પર ગોધરા ખાતે નોકરી પર જઈ રહ્યા હતા. તેઓ પરવડી બાયપાસ ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક ઝડપથી આવતી ઈકો ગાડી સાથે તેમનો અકસ્માત થયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે રાકેશભાઈને આંખ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકો અને રાહદારીઓની મદદથી ઈજાગ્રસ્ત રાકેશભાઈને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 11:49 am

SIR કામગીરીનો કોંગ્રેસનો વિરોધ, હાઈવે ચક્કાજામ કર્યું:સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક સ્થળોએ ટ્રાફિક જામ, કાર્યકરો ડિટેન

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા 'સર કાર્યક્રમ'ના વિરોધમાં હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યું હતું. દસાડાના જૈનાબાદ ચાર રસ્તા સહિત જિલ્લાના અનેક તાલુકા મથકોએ રસ્તા રોકો આંદોલન યોજાયું હતું, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીની આગેવાની હેઠળ આ આંદોલન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લાના તમામ તાલુકા મથકે હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યું હતું. જૈનાબાદ હાઈવે પર લગભગ બે કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ દરમિયાન, દસાડા પોલીસે કોંગ્રેસના અનેક કાર્યકરોને ડિટેન કર્યા હતા. કોંગ્રેસનો આરોપ છે કે 'સર કાર્યક્રમ' અંતર્ગત ફોર્મ નંબર 7માં મોટા પાયે ખોટા નામો કમી કરવામાં આવ્યા છે. આ મુદ્દે વિરોધ નોંધાવવા માટે આ ચક્કાજામ કરવામાં આવ્યું હતું. દસાડા તાલુકાના દસાડા, જૈનાબાદ અને બજાણા ગામોમાં 7,000 જેટલા મતદારોના નામ કમી કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 24,000 નામો કમી કરાયા હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું. ચક્કાજામ કરાયેલા મુખ્ય માર્ગોમાં નવિયાણી-દસાડા હાઈવે, જૈનાબાદ ચોકડી અને અમદાવાદ-માલવણ-ધ્રાંગધ્રા હાઈવેનો સમાવેશ થાય છે. સુરેન્દ્રનગર કોંગ્રેસ જિલ્લા મહામંત્રી સિકંદરભાઈ બચુભાઈ કુરેશીએ આ અંગે માહિતી આપી હતી.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 11:41 am

પાટણમાં ગટર લાઈન ચોકઅપ:સફાઈમાં મેડિકલ વેસ્ટ મળ્યો, જૂના બસ સ્ટેન્ડ પાસે કપડાંનો જથ્થો પણ નીકળ્યો

પાટણ શહેરના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ભૂગર્ભ ગટર લાઈન ચોકઅપ થવાની સમસ્યા સામે આવી હતી. પાલિકા દ્વારા હાથ ધરાયેલી સફાઈ કામગીરી દરમિયાન લાઈનમાંથી મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટ અને જૂના કપડાંનો જથ્થો મળી આવ્યો હતો. આ ચોંકાવનારી ઘટના બાદ પાલિકા તંત્રએ નાગરિકોને ગટરમાં કચરો ન ફેંકવા અપીલ કરી છે. વ્યસ્ત ગણાતા જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી પસાર થતી આ મુખ્ય ભૂગર્ભ ગટર લાઈન છેલ્લા કેટલાક સમયથી જામ થઈ ગઈ હતી. ગટર લાઈન ચોકઅપ થવાને કારણે ગંદા પાણીના નિકાલમાં અવરોધ ઊભો થયો હતો, જેનાથી સ્થાનિક રહીશો અને વેપારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પાટણ નગરપાલિકાના ગટર વિભાગને જાણ થતાં જ તેમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સફાઈ કામગીરી શરૂ કરી હતી. પાલિકાના સફાઈ કામદારો અને ટેકનિકલ ટીમે જ્યારે ગટર લાઈન ખોલીને તપાસ કરી, ત્યારે અંદરથી મોટા પ્રમાણમાં વપરાયેલો મેડિકલ વેસ્ટ અને જૂના કપડાંનો જથ્થો મળી આવતા તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું. સામાન્ય રીતે ઘરેલું વપરાશના પાણી માટે બનેલી આ લાઈનમાં પ્રતિબંધિત મેડિકલ વેસ્ટ અને કાપડ ફેંકવામાં આવતા લાઈન સંપૂર્ણપણે પૂરાઈ ગઈ હતી. પાલિકા તંત્ર દ્વારા કલાકોની જહેમત બાદ તમામ કચરો બહાર કાઢીને ગટર લાઈનને સંપૂર્ણપણે સાફ કરવામાં આવી હતી. હાલમાં ગટર લાઈન પૂર્વવત બની છે અને પાણીનો નિકાલ શરૂ થયો છે. આ ઘટનાને પગલે પાલિકા તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. પાલિકાએ શહેરના વેપારીઓ અને નાગરિકોને ભૂગર્ભ ગટર લાઈનમાં મેડિકલ વેસ્ટ, પ્લાસ્ટિક કે જૂના કપડાં જેવો કચરો ન નાખવા અપીલ કરી છે. આવા કચરાને કારણે લાઈન વારંવાર જામ થાય છે અને જાહેર આરોગ્ય સામે પણ ગંભીર ખતરો ઊભો થાય છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 11:37 am

વલસાડમાં જમીન વિવાદમાં કાકા-ભત્રીજા પર હુમલો:ડુક્કર પકડવાની હદ સમજાવવા જતા લોખંડના સળિયાથી માર, 4 સામે ગુનો

વલસાડના ધોબીતળાવ વિસ્તારમાં જમીનની હદ બાબતે સમજાવવા ગયેલા કાકા-ભત્રીજા પર લોખંડના સળિયાથી હુમલો થયો હતો. આ ઘટનામાં એક યુવકને ગંભીર ઈજા થતા તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી હિતેશભાઈ સુનિલભાઈ ગાયકવાડના જણાવ્યા મુજબ, તેમના કાકા ભરતભાઈ મોતીરામ ગાયકવાડ રાત્રે 9:30 કલાકે ધોબીતળાવ પાસે રહેતા શ્યામ દેવા ગુજ્જર અને અન્ય શખ્સો પાસે ડુક્કર પકડવાની જમીનની હદ બાબતે વાતચીત કરવા ગયા હતા. ત્યાં આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ ભરતભાઈને ઢીંકમુક્કીનો માર મારવાનું શરૂ કર્યું હતું. કાકાને બચાવવા માટે હિતેશ અને તેનો ભાઈ વિરજ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ દરમિયાન, ચારેય આરોપીઓએ ભેગા મળી હિતેશ અને વિરજ પર પણ હુમલો કર્યો હતો. શેખર દેવા ગુજ્જરે હિતેશના માથાના પાછળના ભાગે લોખંડનો સળિયો મારતા તે લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. આસપાસના લોકો એકઠા થતા હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત હિતેશ ગાયકવાડને સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. વલસાડ સિટી પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે શ્યામ દેવા ગુજ્જર, શેખર દેવા ગુજ્જર, દેવા કાલુ ગુજ્જર અને સુરેશ અશોક ગુજ્જર સામે BNS ની કલમ 115(2), 118(1), અને 54 મુજબ ગુનો નોંધી તપાસ ચાલુ રાખી છે. પોલીસે હોસ્પિટલ જઈ હિતેશનું નિવેદન પણ લીધું છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 11:35 am

ખોટી નંબર પ્લેટવાળા દારૂ ટેન્કર માલિકને સજા:સમી કોર્ટે 2018ના રૂ. 6.24 લાખના દારૂ કેસમાં 3 વર્ષની સજા ફટકારી

પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસ્પા ગામ નજીકથી ખોટી નંબર પ્લેટવાળા ટેન્કરમાંથી પકડાયેલા વિદેશી દારૂના કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો છે. સમીની જ્યુડિશિયલ કોર્ટના મેજિસ્ટ્રેટ વી.એમ. વણકરે ટેન્કર માલિક લક્ષ્મણ રામ ભીમારામ મુલારામ ઇસરામ જાટને ત્રણ વર્ષની સાદી કેદ અને રૂ. 6000નો દંડ ફટકાર્યો છે. આ ઘટના 28 જુલાઈ, 2018ના રોજ સમી-રાધનપુર હાઈવે પર બાસ્પા ગામના બસ સ્ટેન્ડ પાસેથી નાકાબંધી દરમિયાન બની હતી. પોલીસે રૂ. 6,24,000નો વિદેશી દારૂ અને રૂ. 5 લાખનું ટેન્કર મળી કુલ રૂ. 11,24,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી લક્ષ્મણ રામ જાટ (ઉં.વ. 30), જે રાજસ્થાનના બાડમેર જિલ્લાના અનદાનીયોન કા તલાનો રહેવાસી છે, તેને તે દિવસે રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો. કોર્ટે તેને IPC કલમ 465 (બનાવટી દસ્તાવેજ બનાવવો) અને 468 (છેતરપિંડીના હેતુથી બનાવટી દસ્તાવેજ બનાવવો) હેઠળ દોષિત ઠેરવ્યો હતો. કલમ 465 હેઠળ, આરોપીને એક વર્ષની સાદી કેદ અને રૂ. 1000નો દંડ ફટકારવામાં આવ્યો છે. દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદ ભોગવવી પડશે. જ્યારે કલમ 468 હેઠળ, ત્રણ વર્ષની સાદી કેદ અને રૂ. 5000નો દંડ કરવામાં આવ્યો છે, જેમાં દંડ ન ભરે તો વધુ બે માસની સાદી કેદની જોગવાઈ છે. કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો આદેશ આપ્યો હતો. આ કેસમાં સરકારી વકીલ એમ.જે. કોરાટે રજૂઆત કરી હતી. કોર્ટે પોતાના 40 પાનાના ચુકાદામાં જણાવ્યું હતું કે, સમાજમાં આવા ગુનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે સામાજિક સુરક્ષાની સ્થિતિ ધ્યાનમાં લેવી જરૂરી છે. આરોપીએ પોતાની માલિકીના ટેન્કરમાં ખોટી નંબર પ્લેટ લગાવી ગુનો આચર્યો હોવાનું ફરિયાદ પક્ષે પુરવાર કર્યું હતું. સરકારી વકીલે દલીલ કરી હતી કે, IPC 465માં બે વર્ષ અને 468માં સાત વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ છે. આવા ગુનાઓ વારંવાર બનતા હોવાથી સમાજમાં દાખલો બેસે તે હેતુથી કાયદામાં દર્શાવેલી મહત્તમ સજા કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, આ આરોપી લક્ષ્મણરામ સામે અગાઉ નોંધાયેલા અન્ય એક ગુનામાંથી તેને શંકાનો લાભ આપી છોડી મૂકવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 11:34 am

ત્રિવેણી વિદ્યાલયમાં 350 વિદ્યાર્થીએ સંભાળ્યું શિક્ષણકાર્ય:સ્વ-શાસન દિનની ઉજવણી સાથે ધોરણ 10-12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

હિંમતનગરના મહેતાપુરામાં આવેલી ત્રિવેણી વિદ્યાલયમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે અનોખા સ્વ-શાસન દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 350 થી વધુ વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષણ કાર્યનું સંચાલન કર્યું હતું, જે બાદ તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. આ સ્વ-શાસન દિન દરમિયાન, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ ધોરણ 1 થી 9 અને 11ના વિદ્યાર્થીઓને વિવિધ વિષયોના શિક્ષકો તરીકે ભણાવ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓએ આચાર્યની ભૂમિકા પણ નિભાવીને શાળાના સંચાલનનો અનુભવ મેળવ્યો હતો. બોર્ડની પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે, ત્યારે વિદ્યાર્થીઓને વિદાય આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર શિક્ષણ કાર્ય કરીને આ દિવસનો આનંદ માણ્યો હતો. શિક્ષણ કાર્ય પૂર્ણ થયા બાદ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. શાળાના આચાર્ય શંભુભાઈ ભટ્ટ અને સમગ્ર શાળા પરિવારે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરવા અને જીવનમાં પ્રગતિ કરવા માટે શુભકામનાઓ અને આશીર્વાદ પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 11:33 am

પૂર્ણેશ મોદી બનશે ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ:આજે સત્તાવાર જાહેરાતની શક્યતા, બિનહરીફ ચૂંટણી નિશ્ચિત

ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષ પદ માટે હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. સુરત પશ્ચિમ બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદી આજે(13 ફેબ્રુઆરી) બપોરે 12 વાગ્યે ઉપાધ્યક્ષ પદ માટે ઉમેદવારી ફોર્મ ભરશે. વિધાનસભા પરિસરમાં રાજકીય ચહલપહલ વચ્ચે તેમના સમર્થકો સાથે તેઓ પહોંચ્યા છે. પૂર્ણેશ મોદીનું બિનહરીફ ચૂંટાવું લગભગ નિશ્ચિતમાહિતી મુજબ, પૂર્ણેશ મોદીનું બિનહરીફ ચૂંટાવું લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. સત્તારૂઢ પક્ષ તરફથી તેમના નામ પર સહમતિ બનતા અન્ય કોઈ ઉમેદવારી દાખલ થવાની શક્યતા ઓછી છે. ફોર્મ ભરતી વખતે મુખ્યમંત્રી હાજર રહે તેવી શક્યતાફોર્મ ભરતી વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી ઋષિકેશ પટેલ તેમજ કામકાજ સલાહકાર સમિતિના સભ્યો હાજર રહેશે તેવી માહિતી મળી રહી છે. આ પ્રસંગે વિધાનસભા પરિસરમાં ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે. પાર્ટી સંગઠન અને સરકારમાં લાંબા સમયથી સક્રિય ભૂમિકા ભજવે છેઉલ્લેખનીય છે કે અગાઉ ઉપાધ્યક્ષ પદ ખાલી થતા નવા ચહેરા તરીકે પૂર્ણેશ મોદીના નામની ચર્ચા ચાલી રહી હતી. પાર્ટી સંગઠન અને સરકારમાં લાંબા સમયથી સક્રિય ભૂમિકા ભજવનાર પૂર્ણેશ મોદી હવે વિધાનસભાના ગૌરવપૂર્ણ પદ પર બેસવા જઈ રહ્યા છે. ઉપાધ્યક્ષ અધ્યક્ષની ગેરહાજરીમાં ગૃહની કાર્યવાહી સંભાળે છેજો તેઓ બિનહરીફ ચૂંટાઈ આવશે તો આવનારા સત્રોમાં ગૃહના કારોબાર સંચાલનમાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. વિધાનસભાના નિયમો અનુસાર ઉપાધ્યક્ષ ગૃહના સંચાલનમાં અધ્યક્ષને સહયોગ આપે છે અને અધ્યક્ષની ગેરહાજરીમાં ગૃહની કાર્યવાહી સંભાળે છે. સત્તાવાર જાહેરાત બાદ ગુજરાત વિધાનસભાને નવા ઉપાધ્યક્ષ મળશેગાંધીનગરના રાજકીય વર્તુળોમાં આજે આખો દિવસ આ ઘટનાને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે. હવે સત્તાવાર જાહેરાત બાદ ગુજરાત વિધાનસભાને નવા ઉપાધ્યક્ષ મળશે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 11:29 am

વધુ વ્યૂઝ-લાઇક્સ મેળવવા વીડિયોમાં એકના મોતનો ખોટો દાવો કર્યો:તપાસમાં પોલ ખૂલી; સુરત પોલીસે રીલ બનાવનાર યુવકની શાન ઠેકાણે લાવી

સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ખોટી માહિતી અને અફવા ફેલાવતા તત્વો સામે સુરત પોલીસે લાલ આંખ કરી છે. શહેરના સરથાણા વિસ્તારમાં બનેલી એક સામાન્ય ઘટનાને ગંભીર સ્વરૂપ આપી, સોશિયલ મીડિયા પર ખોટી રીલ વાઇરલ કરનાર શખ્સની સરથાણા પોલીસે અટકાયત કરી કાયદાનું ભાન કરાવ્યું છે. વધુ વ્યૂઝ-લાઈક્સ મેળવવા યુવકે ઝઘડામાં એકનું મોત અને બે ઈજાગ્રસ્ત કહ્યાગઈકાલે(12 ફેબ્રુઆરી) સવારે આશરે 8 વાગ્યાની આસપાસ સરથાણા બાપા સીતારામ રોડ પર આવેલા સિલ્વર બિઝનેસ હબ પાસે કેટલાક મજૂરો વચ્ચે સામાન્ય ઝઘડો થયો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક યુવકે આ ઝઘડાનો વીડિયો ઉતારી લીધો હતો. વધુ વ્યૂઝ અને લાઈક્સ મેળવવાની લાલચમાં આ યુવકે વીડિયોમાં એવો ખોટો દાવો કર્યો હતો કે, આ ઝઘડામાં એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસ તપાસમાં દાવો ખોટો નીકળ્યોઆ ખોટી માહિતી ધરાવતી રીલ સોશિયલ મીડિયા પર વાઇરલ થતા જ લોકોમાં ભય અને ઉત્તેજનાનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા સરથાણા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. પોલીસે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે વીડિયોમાં કરવામાં આવેલા મોતના દાવા તદ્દન પાયાવિહોણા અને ખોટા છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી વીડિયો બનાવનાર શખ્સને ઝડપી પાડ્યો હતો. યુવકે પોલીસ સ્ટેશનમાં માફી માંગીપોલીસની પકડમાં આવ્યા બાદ અફવા ફેલાવનાર યુવકની શાન ઠેકાણે આવી હતી. તેણે પોલીસ સ્ટેશનમાં પોતાની ભૂલ સ્વીકારી જાહેર જનતાની માફી માંગી હતી. તેણે કબૂલાત કરતા જણાવ્યું હતું કે મેં સિલ્વર બિઝનેસ હબ પાસે મજૂરો વચ્ચે થતા ઝઘડાનો ખોટો વીડિયો બનાવી વાઇરલ કર્યો હતો. મેં કરેલો મોત અને ઈજાનો દાવો ખોટો છે. મિત્રો, તમે આવા ખોટા વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરશો નહીં. યાદ રાખજો, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. ઘટનાની ખરાઈ કર્યા વગર તેના વીડિયો કે માહિતી વાઇરલ કરવી એ ગુનોસુરત પોલીસે આ કિસ્સા દ્વારા નાગરિકોને સંદેશ આપ્યો છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ જવાબદારીપૂર્વક કરવો. કોઈપણ ઘટનાની ખરાઈ કર્યા વગર તેના વીડિયો કે માહિતી વાઇરલ કરવી એ ગુનો છે અને તેનાથી શાંતિ જોખમાઈ શકે છે. અફવા ફેલાવનારાઓ સામે પોલીસ આગામી સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખશે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 11:12 am

હિંમતનગરના ભોલેશ્વર મંદિરે મહાશિવરાત્રી મહોત્સવ યોજાશે:મહા હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ અને મેળાની તૈયારીઓ પૂરજોશમાં

હિંમતનગરના હાથમતી નદી કિનારે આવેલા સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિરે આ વર્ષે પણ મહાશિવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે મહા હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે મંદિરમાં 800 કિલો શક્કરિયા અને ફ્રૂટનો પ્રસાદ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત, મંદિર પરિસરમાં ભવ્ય મેળો પણ ભરાશે, જેમાં ખાણી-પીણી અને રમતગમતના 30 થી વધુ સ્ટોલ ઊભા કરવામાં આવશે. મંદિરમાં મહા હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન થશે. મહાશિવરાત્રીના મેળા અને સ્વયંભૂ ભોલેશ્વર દાદાના દર્શન માટે આવનારા ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. સ્ટોલની તૈયારીઓ અને મંદિરમાં તોરણ સહિતની સજાવટનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 10:56 am

પાડોશી જ ચોર નીકળ્યો:હળવદના ટીકર ગામે 3.94 લાખના સોનાની ચોરીમાં આરોપી ઝડપાયો

હળવદના ટીકર ગામે એક યુવાનના ઘરમાંથી રૂ. 3.94 લાખના સોનાના દાગીનાની ચોરી થઈ હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી પાડોશી આરોપીની ધરપકડ કરી ચોરાયેલો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. ટીકર ગામના સુરેશભાઈ કાનજીભાઈ મકવાણા (ઉં.વ. 24)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાત્રિના સમયે તેમના બંધ ઘરને નિશાન બનાવીને સોનાના બે હાર, બે કાનની બુટ્ટી, એક શેર અને બે વીંટી સહિત કુલ સાડા પાંચ તોલા સોનાના દાગીનાની ચોરી થઈ હતી. આ દાગીનાની કુલ કિંમત રૂ. 3,94,057 આંકવામાં આવી છે. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ ટીકર ગામના વિશાલ રમેશભાઈ ખાંભડિયા (ઉં.વ. 21) નામના આરોપીને ચોરાઉ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે ચોરી થયેલો સોનાનો 100 ટકા મુદ્દામાલ આરોપી પાસેથી રિકવર કર્યો છે. હળવદના પીઆઈ ડી.વી. કાનાણી પાસેથી મળતી માહિતી મુજબ, પકડાયેલો આરોપી ફરિયાદીનો પાડોશી છે. તેને જાણ હતી કે ઘર બંધ છે અને ઘરમાં કિંમતી સામાન છે. મીઠાની સિઝન હોવાથી ફરિયાદી અને તેમનો પરિવાર રણમાં ગયો હતો, ત્યારે આરોપીએ તકનો લાભ ઉઠાવી ઘરના તાળાં તોડીને સોનાના દાગીનાની ચોરી કરી હતી. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 10:51 am

મોરબીમાં બે દિવસીય નિઃશુલ્ક નિદાન કેમ્પ:શનિવાર-રવિવારે દવા અને નિદાન સેવા યજ્ઞ યોજાશે

મોરબીમાં નિરામય આયુર્વેદિક એન્ડ નેચરોપેથી સેન્ટર દ્વારા બે દિવસીય નિઃશુલ્ક દવા અને નિદાન સેવા યજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ તારીખ 14 ફેબ્રુઆરી 2026, શનિવાર અને 15 ફેબ્રુઆરી 2026, રવિવારના રોજ યોજાશે. મોરબીના ધાર્મિક અને સેવાભાવી વ્યક્તિઓના સહયોગથી આ કેમ્પ સવારે 9:30 થી બપોરે 1:00 અને સાંજે 4:00 થી 7:00 વાગ્યા દરમિયાન ચાલશે. આ નિદાન સેવા યજ્ઞમાં આયુર્વેદના નિષ્ણાત ડૉ. જે. એન. પુરોહિત હાજર રહેશે. તેઓ નાડી વિદ્યામાં પારંગત છે અને જટિલ રોગોના નિષ્ણાત તરીકે ઓળખાય છે. કેમ્પમાં ગેસ, એસિડિટી, કબજિયાત, હરસ, સંધિવાત, ઇનફર્ટિલિટી, ઓબેસિટી, માઈગ્રેન, પથરી, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કિડનીના રોગો, અસ્થમા, ચામડીના રોગો અને વિવિધ પ્રકારના દુખાવા સહિતના રોગોનું નિદાન કરવામાં આવશે. દર્દીઓને વહેલા તે પહેલાના ધોરણે સમયસર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. વ્યવસ્થાના ભાગરૂપે, ફક્ત રજીસ્ટ્રેશન થયેલા દર્દીઓને જ તપાસવામાં આવશે. દર્દીઓને અગાઉ કરાવેલા કોઈપણ રિપોર્ટ હોય તો તે સાથે લાવવા વિનંતી છે. રજીસ્ટ્રેશન માટે ચંદ્રશેખર પટેલ (9879660694, 9574888960), શૈલેષ કાલરીયા (98256 43623) અને વૈદ્ય કે. જે. ઝાલા (96646 74374) નો સંપર્ક કરી શકાય છે. આ કેમ્પ નિરામય આયુર્વેદિક એન્ડ નેચરોપેથી સેન્ટર, સ્વાગત ચોકડી, રવાપર રોડ, કોહિનૂર કોમ્પ્લેક્સ, પહેલા માળે, શોપ નંબર-118, મોરબી ખાતે યોજાશે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 10:48 am

દારૂ પીને કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારી:નરોડામાં પતિ-પત્ની અને બાળક ઈજાગ્રસ્ત, ચાલક ભાગી જતા લોકોએ પીછો કરી પકડ્યો; ગાડીમાંથી દારૂની બોટલ મળી

અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન દારૂ પીને ગાડી ચલાવીને અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ગઇકાલે(12 ફેબ્રુઆરી) શહેરના નરોડા વિસ્તારમાં કાપડી વાસ પાસે દારૂ પીધેલા કાર ચાલકે બેફામપણે કાર ચલાવી સામેથી એક્ટિવા પર બાળકી સાથે આવતા દંપતીને ટક્કર મારી હતી. જેથી ત્રણેય લોકો નીચે પડી ગયા હતા. ચાર વર્ષની બાળકીને મોઢાના અને અન્ય ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી જ્યારે પતિ-પત્નીને પણ ઇજાઓ થતા ત્રણેયને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા અને ચાલકને ઝડપી પાડ્યો હતો. પોલીસને જાણ કરવામાં આવતા ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ટ્રાફિક પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ગાડીએ ટક્કર મારતા પતિ-પત્ની બાળક નીચે પટકાયાશહેરના નવા નરોડા વિસ્તારમાં આવેલી અંજની રેસીડન્સીમાં રિતેશ ખટનાની તેમના પરિવાર સાથે રહે છે. રિતેશભાઈ તેમના પત્ની અને ચાર વર્ષની બાળકીને લઈને એક્ટિવા પર તેમના સાળીના ઘરે ગઇકાલે રાત્રે મળવા માટે ગયા હતા. સવા નવ વાગ્યાની આજુબાજુ તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે નરોડા કાપડીવાસ પાસે પહોંચતા સામેના ભાગેથી બેફામ સ્પીડે એક કારચાલક આવ્યો હતો. કાર ચાલકે સામેથી આવતા એક્ટિવાને ટક્કર મારી હતી જેના કારણે રિતેશભાઈ તેમના પત્ની અને નાની બાળકી ત્રણેય નીચે પડી ગયા હતા અને તેઓને ગંભીર ઇજા થઈ હતી. કાર ચાલક ભાગી જતા સ્થાનિકોએ પીછો કરી પકડ્યોઅકસ્માત થતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને રીતેશભાઈએ તેમના મિત્રોને જાણ કરતા તેઓ પણ ઘટનાસ્થળ ઉપર પહોંચ્યા હતા. ગાડી ચાલક પોતાની ગાડી મૂકી ત્યાંથી ભાગી ગયો હતો. જોકે સ્થાનિક લોકોએ તેનો પીછો કરી તેને ઝડપી પાડ્યો હતો. ગાડીમાંથી દારૂની બોટલ મળી108 એમ્બ્યુલન્સ મારફતે ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગાડીમાં તપાસ કરતા દારૂની બોટલ પણ મળી આવી હતી. પોલીસને જાણ કરવામાં આવતા જી ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. પોલીસે કારચાલક રાઘવેંદ્ર તેજભાન સીંગ (ઉ.વ 31, રહે. દેવમાણીક ફ્લેટ, શ્રીનાથ પાર્ટી પ્લોટ પાસે, નવા નરોડા, મુળ વતન ગામ-કુસમી તા-ઉચાઆહાર થાના-જગતપુર જી-અયોધ્યા ઉત્તરપ્રદેશ) ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 10:38 am