SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

32    C
...

બોટાદના વોર્ડ 9માં પેવર બ્લોક રોડનું ખાતમુહૂર્ત:લુહાર શેરી/અવેડા ગેટ વિસ્તારમાં નગરપાલિકા પ્રમુખ સહિતના આગેવાનો હાજર

બોટાદ શહેરના વોર્ડ નંબર 9 માં આવેલા લુહાર શેરી/અવેડા ગેટ વિસ્તારમાં પેવર બ્લોક રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપ પ્રમુખ નીરૂબેન ત્રાસડીયા, કારોબારી ચેરમેન જયશ્રીબેન, કોર્પોરેટર છત્રજીતભાઈ ધાધલ, કોર્પોરેટરના પ્રતિનિધિ હરેશભાઈ પંચાળા, પૂર્વ બોટાદ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, બોટાદ શહેર ભાજપ મહામંત્રી હરેશભાઈ પીઠવા, હર્ષ શાહ અને ઉત્સવ ગોહિલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. લુહાર શેરીના મોટી સંખ્યામાં રહીશો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા પ્રમુખ, ઉપ પ્રમુખ, કોર્પોરેટરો અને અન્ય આગેવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 1:26 pm

મોરબીમાં અસામાજિક તત્વોના 4 દબાણ તોડી પડાયા:3 પાકા મકાન સહિત 642 ચો.મી. સરકારી જમીન ખુલ્લી કરાઈ

મોરબીના જેલ રોડ અને બોરીચા વાસ વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો પર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શખ્સો દ્વારા કરાયેલા કુલ ચાર દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં આશરે 642 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાઈ છે. સમગ્ર ગુજરાતમાં સરકારી અને ગૌચરની જમીન પરના ગેરકાયદેસર દબાણો હટાવવા માટે તંત્ર દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત મોરબી શહેરમાં બોરીચાવાસ વિસ્તારના ભરત ઉર્ફે બીકે કાળુભાઈ બોરીચા અને જીગર નામના બે શખ્સો સામે કાર્યવાહી કરાઈ હતી. આ શખ્સો વિરુદ્ધ મારામારી અને પ્રોહિબિશન સહિતના ગુના નોંધાયેલા છે. આ શખ્સો દ્વારા જુદી જુદી ચાર જગ્યાએ દબાણ કરવામાં આવ્યું હતું, જેમાં ત્રણ પાકા મકાન અને એક પતરાની આડશ કરીને બનાવેલો ડેલો શામેલ હતો. આ તમામ ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવા માટે આજે સવારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મોરબીના પ્રાંત અધિકારી, ડીવાયએસપી, પીઆઇ સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ત્રણ જેસીબી મશીનની મદદથી દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દ્વારા આશરે 65 લાખ રૂપિયાની કિંમતની સરકારી જમીનને દબાણમુક્ત કરવામાં આવી છે. ડીવાયએસપીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં પણ મોરબી જિલ્લામાં કોઈપણ અસામાજિક તત્વ દ્વારા સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હશે તો તેને તોડી પાડવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 1:25 pm

લકી યુ ગ્રુપે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી:ગેટ ટુ ગેધર અને હાઉસી કાર્યક્રમમાં 22 મહિલાઓ જોડાઈ

લકી યુ ગ્રુપ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે એક ગેટ ટુ ગેધર અને હાઉસી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં 18 થી 22 મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નીલાબેન અને રાખીબેન દ્વારા આ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. હાઉસીના હોસ્ટ તરીકે નીતાએ ભૂમિકા ભજવી હતી. ઓમ ઝાયરા ડાયમંડ આ ઇવેન્ટના મુખ્ય સપોર્ટર હતા. ગિફ્ટ હેત હેલ્પીંગ ચેરીટેબલ ટ્રસ્ટના હેતલબેન ચોકસી અને કોમલબેન ગિફ્ટ સ્પોન્સર તરીકે જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 1:24 pm

વિશ્વ કિડની દિવસની ઉજવણી:ગુજરાત કિડની હોસ્પિટલના સેમિનારમાં નિષ્ણાતોએ આપ્યું ડાયાબિટીસ અને બ્લડપ્રેશર નિયંત્રિત રાખવા માર્ગદર્શન

અમદાવાદ સ્થિત 'ગુજરાત કિડની એન્ડ સુપરસ્પેશ્યાલીટી લિમિટેડ' દ્વારા વિશ્વ કિડની દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે સંસ્થા દ્વારા એક વિશેષ અવેરનેસ સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં કિડનીની અનિવાર્યતા, તેની જાળવણી અને આધુનિક સમયમાં વધી રહેલા જોખમો અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. શા માટે ઉજવાય છે આ દિવસ?ઉલ્લેખનીય છે કે, વિશ્વભરમાં દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરુવારે 'વર્લ્ડ કિડની ડે' ઉજવવામાં આવે છે. આ વર્ષે 12 માર્ચના રોજ આ દિવસની ઉજવણી થઈ રહી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને કિડનીના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો અને કિડની ફેલ્યોરના કિસ્સાઓ ઘટાડવાનો છે. કિડનીના રોગોના મુખ્ય કારણો અને લક્ષણોઆજના સમયમાં કિડનીના રોગો એક વૈશ્વિક સમસ્યા બની રહ્યા છે, જે વિશ્વભરમાં 8 કરોડથી વધુ લોકોને પ્રભાવિત કરે છે. સેમિનારમાં નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ભારતમાં કિડનીના રોગો વધવા પાછળ મુખ્યત્વે ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર અને આનુવંશિક પરિબળો જવાબદાર છે. જો સમયસર લક્ષણો ઓળખવામાં ન આવે તો પરિસ્થિતિ ગંભીર બની શકે છે. કિડનીની નબળાઈના મુખ્ય સંકેતોમાં: હાથ, પગ અથવા ચહેરા પર સોજા આવવા. સતત હાઈ બ્લડપ્રેશર રહેવું. શરીરમાં લોહીની ઉણપ (એનીમિયા) જણાવી. હાડકાની નબળાઈ અથવા દુખાવો થવો. સમયસર તપાસ છે અનિવાર્યગુજરાત કિડની એન્ડ સુપરસ્પેશ્યાલીટી લિમિટેડના ડિરેક્ટર ડૉ. પ્રજ્ઞેશ ભારપોડાએ આ તકે જણાવ્યું હતું કે, કિડનીના રોગોથી બચવું શક્ય છે, પરંતુ તેના માટે સાચી જાગૃતતા અનિવાર્ય છે. જો લોકો સમયસર મેડિકલ ચેકઅપ કરાવે અને હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવે, તો ગંભીર સ્ટેજ પર પહોંચતા પહેલા જ આ રોગથી મુક્તિ મેળવી શકાય છે. તંદુરસ્ત જીવન જીવવા માટે નિયમિત કસરત, પૂરતું પાણી પીવું અને બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 1:24 pm

સ્ટર્લિંગ હોસ્પિટલે વર્લ્ડ કિડની ડે પર જાગૃતિ કાર્યક્રમ યોજ્યો:અમદાવાદમાં કિડનીના રોગો અને નિદાન અંગે માહિતી અપાઈ

અમદાવાદમાં સ્ટર્લિંગ હોસ્પિટલે વર્લ્ડ કિડની ડે નિમિત્તે AMA ઓડિટોરિયમ ખાતે કિડની સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને કિડનીના રોગો, તેના પ્રારંભિક લક્ષણો અને સમયસર નિદાન વિશે માહિતગાર કરવાનો હતો. હોસ્પિટલના નેફ્રોલોજી વિભાગના ડિરેક્ટર ડૉ. સોનલ દલાલે કિડનીના સ્વાસ્થ્ય માટે નિયમિત ચેકઅપ, ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવાના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે આ પગલાં કિડનીના રોગોને અટકાવવામાં મદદરૂપ થઈ શકે છે. સ્ટર્લિંગ હોસ્પિટલના એમડી અને સીઈઓ સંતોષ મરાઠેએ માહિતી આપી કે હોસ્પિટલમાં આધુનિક ડાયાલિસિસ કેર, નિષ્ણાત ડોકટરોની ટીમ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમણે સમયસર નિદાન માટે બ્લડ ક્રિએટિનિન અને eGFR જેવી તપાસોને અત્યંત મહત્વપૂર્ણ ગણાવી. ઝોનલ ડિરેક્ટર રમણ ભાસ્કરે કિડનીના રોગોમાં વહેલું નિદાન અને યોગ્ય સારવારના મહત્વ પર પ્રકાશ પાડ્યો. આ કાર્યક્રમમાં દર્દીઓના અનુભવો પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં મેમનગર સિનિયર સિટીઝન ગ્રુપ અને હેત હેલ્પિંગ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિઓ સહિત અનેક લોકો હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 1:23 pm

ધાંગધ્રા મેળામાં કમલેશ મિસ્ત્રીનું સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર:વેસ્ટમાંથી બેસ્ટ કલાકૃતિઓ પ્રદર્શિત કરી, લોકોને ખૂબ પસંદ પડી

ધાંગધ્રા નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળામાં કમલેશ ઉર્ફે શંભુભાઈ મિસ્ત્રીનું સ્ટોલ મુલાકાતીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ મેળામાં સ્થાનિક કલાકારો અને કારીગરોને પોતાની કળા પ્રદર્શિત કરવાનો સુંદર અવસર મળ્યો છે. કમલેશ મિસ્ત્રી વેસ્ટ સામગ્રીમાંથી નવીન અને ઉપયોગી વસ્તુઓ બનાવવાની અનોખી કળા ધરાવે છે. ખાસ કરીને, તેઓ નાળિયેરની કાચલીમાંથી વિવિધ સજાવટી અને રોજિંદા ઉપયોગની વસ્તુઓ બનાવે છે, જે મેળામાં આવેલા લોકોને ખૂબ પસંદ પડી રહી છે. સામાન્ય રીતે ફેંકી દેવામાં આવતી નાળિયેરની કાચલીને તેઓ પોતાની સર્જનાત્મકતા દ્વારા સુંદર કલાત્મક વસ્તુઓમાં પરિવર્તિત કરે છે. આ ઉપરાંત, કમલેશ દ્વારા લાકડામાંથી બનાવવામાં આવેલી વિવિધ પ્રકારની કલાત્મક કૃતિઓ, રમકડાં અને ડેકોરેટિવ વસ્તુઓ પણ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. કમલેશ મિસ્ત્રીનું આ સ્ટોલ માત્ર કલા પ્રદર્શન પૂરતું સીમિત નથી, પરંતુ 'વેસ્ટમાંથી બેસ્ટ' બનાવવાની પ્રેરણા પણ પૂરી પાડે છે. તેમના કાર્ય દ્વારા સમાજમાં સર્જનાત્મકતા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો સંદેશ પણ ફેલાઈ રહ્યો છે. સ્વદેશી મેળામાં આવેલા મુલાકાતીઓ કમલેશના સ્ટોલ પર ખાસ રસ દાખવી રહ્યા છે અને તેમની અનોખી કળાને બિરદાવી રહ્યા છે. ધાંગધ્રા શહેરમાં તેમનું આ સ્ટોલ હાલમાં આકર્ષણ અને ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 1:21 pm

સુરેન્દ્રનગરમાં મહિલાને મળેલું બે તોલા સોનાનું મંગળસૂત્ર પરત કરાયું:મહેતા જ્વેલર્સ બહાર મળેલું મંગળસૂત્ર CCTVની મદદથી માલિકને સોંપાયું

સુરેન્દ્રનગરમાં મહેતા જ્વેલર્સની બહાર રોડ પરથી એક મહિલાને આશરે બે તોલા વજનનું સોનાનું મંગળસૂત્ર મળ્યું હતું. રાધિકાબા અજયરાજસિંહજી નામના ગ્રાહકે આ મંગળસૂત્ર દુકાન માલિકને પરત કર્યું હતું. નવલગઢ ગામના રાધિકાબા અજયરાજસિંહજીને દુકાનની બહાર રોડ પરથી આ મંગળસૂત્ર મળ્યા બાદ તેમણે તાત્કાલિક મહેતા જ્વેલર્સના સંચાલકોને જાણ કરી હતી. દુકાનના CCTV કેમેરા તપાસતા, આ મંગળસૂત્ર વણા ગામના સોનલબેનનું હોવાનું જાણવા મળ્યું હતું. સંપૂર્ણ ખાતરી કર્યા બાદ, મહેતા જ્વેલર્સ દ્વારા સોનલબેનને તેમનું મંગળસૂત્ર પરત સોંપવામાં આવ્યું હતું. આ ઘટનામાં રાધિકાબા અજયરાજસિંહજીએ દાખવેલી પ્રમાણિકતાની નોંધ લેવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 1:17 pm

CVMU હેકાથોન 4.0 સંપન્ન, 364 ટીમોનો જંગ:36 કલાકના મેરેથોન હેકિંગ બાદ વિજેતા ટીમો જાહેર

ચારુતર વિદ્યા મંડળ યુનિવર્સિટી (CVMU) દ્વારા આયોજિત બે દિવસીય 'CVMU હેકાથોન 4.0' નવીનતા અને ટેકનોલોજીના સંગમ સાથે સંપન્ન થઈ છે. ન્યૂ વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 40થી વધુ શૈક્ષણિક સંસ્થાઓની 364 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ હેકાથોનનું સંયુક્ત આયોજન એ.ડી. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (ADIT) અને મધુબેન એન્ડ ભાનુભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MBIT) દ્વારા કરાયું હતું. પ્રારંભિક સ્ક્રુટિની બાદ પસંદ થયેલી 134 ટીમો વચ્ચે 36 કલાકનું સળંગ મેરેથોન હેકિંગ સત્ર યોજાયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની ટેકનિકલ કુશળતા અને સમસ્યા નિવારણની ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. આ વર્ષે કોલેજના યુવાનોની સાથે વિવિધ શાળાઓની 20 જેટલી ટીમોએ પણ ભાગ લઈ પોતાના પ્રોટોટાઈપ્સ રજૂ કર્યા હતા. સમગ્ર સ્પર્ધાને મુખ્યત્વે ચાર થીમમાં વહેંચવામાં આવી હતી, જેમાં લાઇફ સાયન્સ એન્ડ એગ્રીકલ્ચર, એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી અને ઇમરજિંગ ટેકનોલોજી જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. ઉદ્ઘાટન સમારોહમાં CVM યુનિવર્સિટીના પ્રમુખ ભીખુભાઈ પટેલ અને પ્રોવોસ્ટ ઇન્દ્રજીત પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમાપન પ્રસંગે મહાનુભાવો દ્વારા વિજેતા ટીમોને બિરદાવી પુરસ્કૃત કરવામાં આવી હતી. ડો. વિશાલ સિંઘ અને ડો. મૌલિકા પટેલના સંસ્થાકીય સમર્થન અને માર્ગદર્શનથી આ કાર્યક્રમ સફળ બન્યો હતો.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 1:05 pm

જી. જે. પટેલ આયુર્વેદ કોલેજમાં મહિલા દિવસની ઉજવણી:150થી વધુ મહિલાઓ જોડાઈ, પ્રેરણાદાયી વ્યાખ્યાન યોજાયું

CVM યુનિવર્સિટી સંચાલિત જી. જે. પટેલ આયુર્વેદ કોલેજ અને એસ.જી. પટેલ આયુર્વેદ હોસ્પિટલ, નવા વલ્લભ વિદ્યાનગર ખાતે 10 માર્ચ, 2026ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સંસ્થાના ચેરમેન ભીખુભાઈ પટેલ, પ્રિન્સિપાલ ડૉ. સરિતા ભૂતડા અને હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટિવ અધિકારી કીર્તિ પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો. કાર્યક્રમમાં MBIT કોલેજના ડૉ. મૌલિકા પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે “Happy to Work, Happy at Workplace” વિષય પર પ્રેરણાદાયી વ્યાખ્યાન આપ્યું હતું, જે ઉપસ્થિત તમામ મહિલાઓ માટે માર્ગદર્શક અને પ્રેરણાદાયક બન્યું. આ ઉજવણીમાં કોલેજ અને હોસ્પિટલના મહિલા શિક્ષકગણ, નોન-ટીચિંગ સ્ટાફ, ઇન્ટર્ન વિદ્યાર્થીઓ, પી.જી. વિદ્યાર્થીઓ તેમજ અન્ય સ્ટાફ સહિત કુલ 150થી વધુ મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા મહિલા જીવનના વિવિધ પડાવો દર્શાવતી એક આર્ટ ગેલેરીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોસ્ટર મોડેલ, સ્કેચ આર્ટ વગેરે દ્વારા મહિલાઓના જીવનપ્રવાસનું સુંદર પ્રદર્શન કરાયું. આ ઉપરાંત, રંગોળી દ્વારા પણ મહિલાના જીવનના વિવિધ તબક્કાઓને આકર્ષક રીતે રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે મહિલા સ્ટાફ દ્વારા એક નાનકડો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ રાજ્યોની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતી રજૂઆતો કરવામાં આવી. મનોરંજક રમતોનું પણ આયોજન કરાયું હતું અને ઉપસ્થિત સૌ માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ વુમન ડેવલપમેન્ટ સેલ કમિટી, કોલેજના અન્ય ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 1:02 pm

લાકડાના ભૂસાની આડમાં લવાતો લાખોનો દારૂ ઝડપાયો:હરણી પોલીસે NH-48ના સર્વિસ રોડ પરથી મોટા જથ્થા સાથે 4 આરોપીને દબોચી લીધા

વડોદરા નજીકના નેશનલ હાઈવે-48 પર દેણાબ્રિજથી ગોલ્ડન ચોકડી તરફ જતા સર્વિસ રોડ પરથી હરણી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે અમદાવાદથી સુરત તરફ જતા દારૂના કન્ટેનર ટ્રક અને મહિન્દ્રા પિકઅપમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો 4498 બોટલો-ટીનનો જથ્થો, જેની કિંમત રૂપિયા 23,06,400ના મુદ્દામાલ સાથે ચાર આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે દારૂના કટિંગ પહેલાં રેડ પાડીઆ અંગેની બાતમી હરણી પોલીસને મળી હતી કે, સર્વિસ રોડ પર કન્ટેનરમાંથી પિકઅપમાં દારૂ ઉતારવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે હરણી પોલીસ સ્ટેશનના પોલીસકર્મી મનદીપસિંહ રાજેન્દ્રસિંહ સહિતની ટીમે તાત્કાલિક રેડ કરી અને સ્થળ પર પહોંચીને ચાર આરોપીને ઝડપી પાડ્યા હતા. આરોપીઓએ પૂછપરછ દરમિયાન પોતાની ઓળખ અસીફખાન ઝુબેરખાન (હરિયાણા), હામિદહુસેન દિનમોહમ્મદ (હરિયાણા), અજમલહસન તાહિરહસન પઠાણ (વડોદરા) અને અતિકઅહેમદ વકિલઅહેમદ પઠાણ (વડોદરા) તરીકે જણાવી હતી. પોલીસે ભૂસામાં છુપાવેલા જથ્થો બહાર કાઢ્યોતપાસ દરમિયાન પોલીસને કન્ટેનર અને પિકઅપમાં મિણીયા થેલીઓ તથા લાકડાના ભૂસામાં છુપાવેલા ડ્રમોમાંથી વિવિધ બ્રાન્ડની બોટલો-ટીન મળી આવ્યા હતા. પોલીસે દારૂ ઉપરાંત ચાર મોબાઇલ ફોન, કન્ટેનર ટ્રક અને પિકઅપ સહિત કુલ રૂપિયા 3619400નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે હરણી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 1:00 pm

સૌરાષ્ટ્રમાં ઉનાળાના પ્રારંભે જ ડેમોમાં પાણી ખૂટ્યા:દેવભૂમિ દ્વારકામાં 22 ટકા, સુરેન્દ્રનગરમાં 35 ટકા, જામનગરમાં 38 ટકા, રાજકોટના જળાશયોમાં 53 ટકા પાણી : સૌની યોજના એક જ આશરો

સૌરાષ્ટ્રમાં ઉનાળાની શરૂઆતમાં જ જળાશયો ખાલી થવા લાગ્યા છે. રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા સૌરાષ્ટ્રના પાંચ માંથી માત્ર રાજકોટ અને મોરબી જિલ્લામાં 50% પાણી ભરેલું છે. સૌથી ઓછું દ્વારકા જિલ્લાના જળાશયોમાં 22 ટકા પાણી છે. જ્યારે જામનગર જિલ્લાના જળાશયોમાં 38 ટકા તો સુરેન્દ્રનગર જિલ્લાના જળાશયોમાં 35 ટકા પાણી છે. જેથી હવે સૌરાષ્ટ્રના લોકોને પીવાનું પાણી પૂરું પાડવું હોય તો અત્યારથી જ સૌની યોજનાનો આશરો લેવો પડે તેવી પરિસ્થિતિ છે. રાજકોટ જિલ્લા સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર યશ વેગડે જણાવ્યું હતું કે, હાલ સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાના ડેમોની સ્થિતિ અંગે ડેટા કલેક્શનની કામગીરી ચાલુ છે. જેમાં દેવભૂમિ દ્વારકામાં 22 ટકા, જામનગરમાં 38 ટકા, મોરબીમાં 50 ટકા, રાજકોટમાં 53 ટકા અને સુરેન્દ્રનગરમાં 40 ટકા ડેમો ભરેલા છે. સિંચાઈ માટેનું પાણી ડેમોમાંથી આપવામાં આવે છે જ્યારે પીવાના પાણી માટે બાકીના ડેમો રિઝર્વ રાખવામાં આવેલા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સૌની યોજના અંતર્ગત જરૂરિયાત મુજબ ડેમોમાં પાણી ઠલવવામાં આવે છે. આજી 1,2,3 અને ભાદર - 1 ડેમ પર વોટર સપ્લાય માટે આધાર રાખવાનો હોય છે. આ ઉપરાંત છે. આ ઉપરાંત કરમાડ ડેમમાં 18.43 ટકા, ઈશ્વર્યા ડેમમાં 9.33 ટકા, કરણુકી ડેમમાં 13.93 ટકા, ગોંડલી ડેમમાં 11.37 ટકા, વાછપરી ડેમમાં 29.58 ટકા, વેરી ડેમમાં 59.26 ટકા, ભાદર ડેમમાં 49.17 ટકા, સુર્વો ડેમમાં 59.71 ટકા, મોતીસર ડેમમાં 36.05 ટકા, કબીર સરોવર ડેમમાં 12.17 ટકા પાણી છે. આ ઉપરાંત છાપરવાળી 2 ડેમમાં, 26.9 ટકા, ફોફળ એક ડેમમા 56.74 ટકા, ભાદર 2 ડેમમાં 74.41 ટકા, સોડવદર ડેમમાં 39.05 ટકા, મોજ ડેમમાં 43.25 ટકા, ન્યારી એક ડેમમાં 65.19 ટકા, ન્યારી 2 ડેમમાં 57.39 ટકા, ડોંડી ડેમમાં 54.74 ટકા, આજી એક ડેમમાં 79.11 ટકા, લાલપરી ડેમમાં 87.48 ટકા, આજી 2 ડેમમાં 91.11%, આજી 3 ડેમમાં 56.28 ટકા, ખોડાપીપર ડેમમાં 70.67 ટકા જ્યારે ફાડદંગ બેટી ડેમમાં 40.56 ટકા પાણી છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 12:57 pm

ભરૂચમાં 13 માર્ચે ‘નમોત્સવ’ મેગા શો:વડાપ્રધાન મોદીના જીવન પર 100થી વધુ કલાકારો પ્રસ્તુતિ રજૂ કરશે

ભરૂચ શહેરમાં 13 માર્ચે સાંજે 6 વાગ્યે ‘નમોત્સવ’ મેગા મલ્ટીમીડિયા મ્યુઝિકલ શોનું આયોજન કરવામાં આવ્યું છે. દુધધારા ડેરી દ્વારા દુધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ યોજાશે. આ શોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન સંઘર્ષ અને પ્રેરણાદાયી સફરને અનોખી રંગમંચ શૈલીમાં રજૂ કરાશે. બાળપણથી લઈને દેશના વડાપ્રધાન બનવા સુધીની તેમની જીવનયાત્રાને મલ્ટીમીડિયા થિયેટર ફોર્મેટમાં દર્શાવવામાં આવશે. આ મેગા કાર્યક્રમમાં 100થી વધુ કલાકારો ગીત, સંગીત, સાહિત્ય અને નૃત્યના માધ્યમથી વડાપ્રધાનના જીવનપ્રસંગોને જીવંત બનાવશે. કાર્યક્રમને વધુ આકર્ષક બનાવવા માટે દિલધડક નૃત્ય પ્રસ્તુતિઓ, જાજરમાન ડ્રોન શો, ભવ્ય આતશબાજી અને વિશાળ પ્રોપ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રખ્યાત લોકસાહિત્યકાર અને હાસ્ય કલાકાર સાઈરામ દવે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરશે. દુધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ, ભાજપના ઉપપ્રમુખ નિરલ પટેલ અને મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રી સહિતના પદાધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. આ અંગે માહિતી આપતા જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે, ભરૂચમાં આ પ્રકારનો ભવ્ય મેગા કાર્યક્રમ પ્રથમવાર યોજાઈ રહ્યો છે, જે શહેર અને જિલ્લાના લોકો માટે ગૌરવની ક્ષણ છે. કાર્યક્રમના આયોજક દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સહકારી ક્ષેત્રના મંત્રી જીતુ વાઘાણી અને જળ સંચય રાજ્ય કક્ષા મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિત જિલ્લાના અનેક આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ મેગા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. કાર્યક્રમ માટે પ્રવેશ પાસ નિઃશુલ્ક રાખવામાં આવ્યા છે અને ભરૂચ જિલ્લાના નાગરિકોને આ ભવ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજરી આપવા આમંત્રણ અપાયું છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 12:53 pm

આજથી મનપામાં વહીવટદારનું રાજ:રાજકોટ મનપાનાં વહીવટદાર તરીકે ચાર્જ સંભાળતાં રેમ્યા મોહન, મ્યુ. કમિશ્નર સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી, કહ્યું- પ્રાથમિક સુવિધાઓ પર ખાસ ધ્યાન અપાશે

રાજકોટ મહાપાલિકાનાં 11માં વહીવટદાર તરીકે રેમ્યા મોહને આજે ચાર્જ સંભાળ્યો હતો. મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચીને તરત જ તેઓએ મ્યુ. કમિશનર તુષાર સુમેરા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરો, અને સિટી ઇજનેરો સાથે બેઠક યોજી રાજકોટ શહેરમાં ચાલતા વિકાસ કામો અંગે વિગતવાર માહિતી મેળવી હતી. આ તકે તેમણે જણાવ્યું હતું કે, આજે મેં વહીવટદાર તરીકે ચાર્જ સંભાળી લીધો છે. આગામી સમયમાં રાજકોટનાં લોકોની રોડ-રસ્તા, પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ બાબતે ખાસ ધ્યાન આપવામાં આવશે. રાજકોટ મનપામાં ચૂંટાયેલી પાંખની મુદત પૂરી થતા જ સરકાર દ્વારા રેમ્યા મોહનની વહીવટદાર તરીકે નિમણુંક કરવામાં આવી છે. જે અંતર્ગત રેમ્યા મોહન સવારે 10 વાગ્યે સરકીટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતા.‌ જ્યાં મહાપાલિકા કચેરીના અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ ત્યાંથી સીધા મનપા કચેરી ખાતે પહોંચ્યા હતા. અગાઉ જ્યાં મેયર બેસતા હતા તે ચેમ્બરમાં જ રેમ્યા મોહનને સ્થાન આપવામાં આવ્યું હોય તેઓ સીધા ત્યાં પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે મ્યુ. કમિશ્નર સહિતનાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. અને રાજકોટ શહેરમાં હાલ ચાલતા વિકાસ કામોની જાણકારી મેળવી હતી. રેમ્યા મોહન ગાંધીનગરમાં નગરપાલિકાઓના વહીવટી કમિશનર તરીકે ફરજ બજાવે છે અને તેઓને રાજકોટ મહાનગરપાલિકાના વહિવટદાર તરીકે વધારાનો ચાર્જ સુપરત કરવામાં આવ્યો છે.‌ તેઓએ સપ્ટેમ્બર 2019થી રાજકોટના 49માં કલેક્ટર તરીકે સેવા આપી હતી, ખાસ કરીને કોવિડ મહામારી દરમિયાન તેઓની કામગીરી ખૂબ નોંધપાત્ર રહી હતી. રાજકોટ જિલ્લા કલેક્ટર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે સઘન પગલાં લીધા હતા. રસીકરણ અભિયાન અને લોક ડાઉન દરમિયાન કાયદો-વ્યવસ્થા જાળવવામાં તેમની ભૂમિકા મહત્વની રહી હતી. તેમણે ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના ડાયરેક્ટર તરીકે પણ કાર્ય કર્યું છે. અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDM)ના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે પણ સંકળાયેલા છે. રેમ્યા મોહને જણાવ્યું હતું કે, આજથી મેં મારો ચાર્જ સંભાળી લીધો છે. આગામી સમયમાં જનતાના હિતને લક્ષમાં રાખીને તમામ જરૂરી નિર્ણયો લેવામાં આવશે. સાંઢિયા પુલ અને જંગલેશ્વર વિસ્તારના પડતર પ્રશ્નો અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે, વ્યક્તિગત પ્રોજેક્ટ્સની કામગીરીની સમીક્ષા કરીને વહીવટી પ્રક્રિયા મુજબ યોગ્ય સમયે નિર્ણયો લેવામાં આવશે. રાજકોટની જનતાને હાલાકી પડે નહીં તે માટે તંત્ર સંપૂર્ણ સહયોગ સાથે કામગીરી કરશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલના તબક્કે શોર્ટ ટર્મમાં જે સ્ટોપગેપ એરેન્જમેન્ટ તરીકે કામો કરવાના હોય તે બાબતે તમામ વિભાગો સાથે ચર્ચા કરીને નિર્ણયો લેવામાં આવશે. કોઈ ચોક્કસ કામ અંગે અત્યારે ટિપ્પણી કરવી યોગ્ય નથી, પરંતુ પ્રાથમિકતાના ધોરણે કામગીરી આગળ વધારવામાં આવશે. તેમજ જનતાને પાયાની સુવિધાઓ જેવી કે પીવાનું પાણી, રોડ-રસ્તા અને સફાઈ જેવી બાબતોમાં કોઈ અસુવિધા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. શહેરી વિકાસ વિભાગમાં કાર્યરત હોવાથી તેઓ રાજકોટની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ખૂબ નિષ્ઠાપૂર્વક કામ કરી રહી છે અને આગામી સમયમાં પણ પ્રજાલક્ષી કાર્યોને વેગ આપવામાં આવશે. અડધી સદીમાં 11મી વખત વહિવટદારની નિમણૂંક મહાનગરપાલિકાની સ્થાપનાથી અત્યાર સુધીમાં અનેક દિગ્ગજ અધિકારીઓએ વહિવટદાર તરીકે સેવા આપી છે. 1974-75 માં એન. એમ. બ્રિજલાણી, સી.સી. ડોક્ટર, અને કે. ઓ. વરદન જેવા અધિકારીઓએ શાસન સંભાળ્યું હતું. ત્યારબાદ 1980-81 માં આર. રામભદ્રન, 1993-95 દરમિયાન અશોક કોશી અને અશોક નારાયણની નિમણૂંક થઈ હતી. વર્ષ 2000 માં પી.એન. રોય ચૌધરી અને 2005 માં જી. આર. અલોરીયાએ આ પદ શોભાવ્યું હતું. 2020-2021 માં ઉદિત અગ્રવાલ બાદ હવે 2026 માં રમ્યા મોહન આ યાદીમાં સામેલ થશે. શહેરીજનો આશા રાખી રહ્યા છે કે અનુભવી અધિકારીના માર્ગદર્શન હેઠળ ચૂંટણીના સમયગાળામાં પણ શહેરની પ્રાથમિક સુવિધાઓ જળવાઈ રહેશે. ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટાયેલ પાંખની 5 વર્ષની મુદ્દત ગઈકાલે પૂર્ણ થઈ છે. લોકશાહી ઢબે ચૂંટાયેલી બોડીની ટર્મ પૂરી થતાની સાથે જ મનપામાં વહીવટદાર શાસનનો આરંભ થયો છે. જોકે, વહીવટદાર શાસન લાગુ થવાને કારણે નવા વિકાસલક્ષી પ્રોજેક્ટો પર બ્રેક લાગવાની સંભાવના છે. સામાન્ય રીતે રુટીન જાળવણી અને સફાઈ જેવી કામગીરી રાબેતા મુજબ ચાલશે, પરંતુ રોડ-રસ્તા કે અન્ય મોટા પ્રોજેક્ટો માટેની નવી ટેન્ડર પ્રક્રિયા અટકી શકે છે. કોઈપણ નવા પ્રોજેક્ટ માટે કમિશનર વિભાગે દરખાસ્ત તૈયાર કરી સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી માટે મોકલવી પડે છે. આગામી 2 માસ સુધી નવી ચૂંટાયેલી પાંખ અસ્તિત્વમાં ન હોવાથી નીતિ વિષયક મોટા નિર્ણયો લેવામાં મર્યાદાઓ આવી શકે છે, જેના કારણે મે માસ સુધી નવા પ્રોજેક્ટો વિલંબમાં પડી શકે છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 12:49 pm

ગેસની અછતથી સુરતના 10,000 વીવિંગ યુનિટ્સ પ્રભાવિત:હજારો મીટર કાપડના ઉત્પાદન પર અસર; કામ બંધ થશે તો લોકોની રોજગારી સંકટમાં આવશે

વૈશ્વિક સ્તરે ચાલી રહેલા ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષની સીધી અસર હવે સુરતના આર્થિક કરોડરજ્જુ સમાન ટેક્સટાઈલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. ગલ્ફ દેશોમાં અશાંતિને કારણે ગેસ સપ્લાય ચેઈન ખોરવાતા સુરતના વીવિંગ ઉદ્યોગમાં કોમર્સિયલ ગેસ સિલિન્ડરની ભારે તંગી સર્જાઈ છે. ખાસ કરીને ટ્વિસ્ટેડ યાર્નનો ઉપયોગ કરતા અંદાજે 10,000 જેટલા વીવિંગ યુનિટ્સ આ અછતથી સીધા અસરગ્રસ્ત બન્યા છે. હીટિંગ પ્રોસેસ ખોરવાતા ઉત્પાદન પર માઠી અસરવીવિંગ ઉદ્યોગમાં કાપડના ઉત્પાદન પહેલા યાર્ન (દોરા) પર પ્રક્રિયા કરવી અનિવાર્ય હોય છે. વીવર અગ્રણી અશોક જીરાવાલાના જણાવ્યા અનુસાર, 1200 RPMથી વધુ સ્પીડ ધરાવતા મશીનો પર કાપડ બનાવતા પહેલા યાર્નને હીટ (ગરમી) આપવી પડે છે. આ પ્રોસેસ વગર હાઈ-ક્વોલિટી કાપડ બનાવવું અશક્ય છે. હાલમાં ગેસના અભાવે આ હીટિંગ પ્રક્રિયા ખોરવાઈ છે, જેના કારણે ઉત્પાદન પ્રક્રિયા ધીમી પડી ગઈ છે. 10,000 જેટલા એકમો ગેસની અછતથી પ્રભાવિતદક્ષિણ ગુજરાત વીવિંગ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અશોક જીરાવાલાએ પરિસ્થિતિની સ્પષ્ટતા કરતા કહ્યું કે, સુરતમાં કુલ 55,000 જેટલા વીવિંગ યુનિટ્સ કાર્યરત છે. તેમાંથી તમામમાં વરાળ (Steam)નો ઉપયોગ થતો નથી, પરંતુ અંદાજે 30% યુનિટ્સ એવા છે, જ્યાં ટ્વિસ્ટેડ યાર્ન વપરાય છે અને ત્યાં સ્ટીમ આપવી ફરજિયાત છે. આ ગણતરી મુજબ, લગભગ 10,000 જેટલા એકમો ગેસની અછતને કારણે મોટા પાયે પ્રભાવિત થવાની શક્યતા છે. ગલ્ફ દેશોમાં યુદ્ધ અને ONGCના પુરવઠામાં વિક્ષેપવૈશ્વિક બજારમાં ક્રૂડ અને ગેસના ભાવમાં ઉછાળાની સાથે સપ્લાય ખોરવાઈ છે. ઈરાન દ્વારા થઈ રહેલા બોમ્બમારાને કારણે ગલ્ફ દેશોમાંથી આવતો ગેસનો જથ્થો ઓછો થયો છે, જેની અસર ONGC જેવી સરકારી કંપનીઓના પુરવઠા પર પણ પડી રહી છે. સ્થાનિક સ્તરે કોમર્સિયલ સિલિન્ડરનો પુરવઠો છેલ્લા બે દિવસથી અનિયમિત થઈ જતાં ઉદ્યોગકારોની ચિંતામાં મોટો વધારો થયો છે. જરી અને બ્લીચિંગ પ્રક્રિયામાં પણ ગેસની જરૂરિયાતમાત્ર વણાટ જ નહીં, પરંતુ સુરતની શાન ગણાતી જરી ઉદ્યોગમાં પણ હીટિંગ પ્રોસેસ માટે એલપીજી ગેસ અનિવાર્ય છે. આ ઉપરાંત, કાપડને બ્લીચ કરવા અને હેન્ડ પ્રિન્ટિંગના એકમોમાં બોઈલર ગરમ રાખવા માટે પણ ગેસ સિલિન્ડરનો વ્યાપક ઉપયોગ થાય છે. ગેસ વગર આ આખી પોસેસ લાઈન પર અસર પડી છે, જેની ચેઈન રિએક્શન આખા ટેક્સટાઈલ માર્કેટ પર જોવા મળી શકે છે. હજારો મીટર કાપડનું ઉત્પાદન જોખમમાંસામાન્ય ગણતરી મુજબ, એક કોમર્સિયલ ગેસ સિલિન્ડરની મદદથી હજારો મીટર કાપડ તૈયાર કરી શકાય છે. ગેસના અભાવે અત્યાર સુધી હજારો મીટર કાપડનું ઉત્પાદન અટકી પડ્યું છે. જો આગામી દિવસોમાં પુરવઠો રાબેતા મુજબ નહીં થાય, તો ઉત્પાદન ખર્ચ વધશે અને શ્રમિકો માટે પણ કામની અછત સર્જાઈ શકે છે, જેનાથી કારખાનેદારોના બેંક હપ્તા પર પણ અસર પડશે. ટ્વિસ્ટેડ યાર્ન વાપરતા એકમો માટે મોટું સંકટઅશોક જીરાવાલાએ ઉમેર્યું હતું કે, સાઈઝિંગ બીમ યુનિટ્સમાં ભલે વરાળની જરૂર ન હોય, પણ જે યુનિટ્સમાં ટ્વિસ્ટેડ યાર્ન વપરાય છે ત્યાં વરાળ વગર કામ કરવું અશક્ય છે. ગેસની અછતને કારણે આ ચોક્કસ સેગમેન્ટના 10,000 યુનિટ્સમાં કામકાજ ખોરવાયું છે, જે ટેક્સટાઈલની સમગ્ર પ્રોસેસિંગ ચેઈન માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ઉદ્યોગકારોમાં ચિંતા અને આગામી દિવસોજો આગામી થોડા દિવસોમાં ગેસનો પુરવઠો પૂર્વવત નહીં થાય, તો સુરતનો વીવિંગ ઉદ્યોગ આર્થિક મુશ્કેલીમાં મુકાશે. હાલમાં વિવર્સ એસોસિએશન સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. વૈશ્વિક પરિસ્થિતિને કારણે ઊભી થયેલી આ સમસ્યા જો લાંબો સમય ચાલશે, તો ટેક્સટાઈલ માર્કેટમાં કાપડની આવક ઘટી શકે છે અને ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 12:46 pm

‘ગેસની અછત નિવારવા માટે સરકાર પાસે કોઈ સત્તા નથી’:યુદ્ધ બંધ ન થાય ત્યાં સુધી સપ્લાય નહિ, ઉદ્યોગ બંધ થશે તો ચાલશે, રસોડું ન થવું જોઈએઃ દિલીપ સંઘાણી

સુરતની મુલાકાતે આવેલા ઇફકોના (IFFCO) ચેરમેન દિલીપ સંઘાણીએ હાલમાં રાજ્યમાં પ્રવર્તી રહેલી કોમર્શિયલ ગેસની અછત અંગે મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગેસની આ સમસ્યા સ્થાનિક નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિતિને કારણે ઉભી થઈ છે. સમુદ્રી માર્ગો પ્રભાવિત થતા સપ્લાય ચેઈન પર તેની સીધી અસર પડી છે, જેના કારણે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં આ સ્થિતિ જોવા મળી રહી છે. ‘રસોડામાં ગેસ બંધ ન થાય તેવી સરકારની પ્રાથમિકતા’ગેસના વિતરણ અંગે સરકારી નીતિની સ્પષ્ટતા કરતા સંઘાણીએ જણાવ્યું કે, સરકાર પાસે જે સ્ટોક ઉપલબ્ધ છે, તેમાં ઘરેલું ગેસને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી છે. કોઈપણ સંજોગોમાં લોકોના રસોડામાં રસોઈ ગેસ બંધ ન થવો જોઈએ. હોસ્પિટલો અને જીવનજરૂરી સેવાઓને પહેલા ગેસ મળે તેવા લોકહિતના નિર્ણયો લેવામાં આવ્યા છે. વ્યાપાર કે રસોડું? સંઘાણીએ સમજાવ્યું પ્રાથમિકતાનું ગણિતકોમર્શિયલ ગેસ સિલિન્ડર ન મળતા નાના વેપારીઓની મુશ્કેલી અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે, 'કોમર્શિયલ' શબ્દ જ તેની શ્રેણી સ્પષ્ટ કરે છે. આપણે નક્કી કરવાનું છે કે વેપાર બંધ રહે તે વધુ ગંભીર છે કે રસોડું બંધ રહે તે? સરકારે રસોડાને પ્રાથમિકતા આપી છે જે આવકારદાયક પગલું છે. જ્યા સુધી યુદ્ધની સ્થિતિ શાંત નહીં થાય ત્યાં સુધી આપણે સહિયારો પુરુષાર્થ કરીને આ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. કાળાબજારી કરનારાઓ સામે લાલ આંખબજારમાં ગેસ સિલિન્ડરની અછત વચ્ચે કાળાબજારી અને સંગ્રહખોરીની ફરિયાદો પર સંઘાણીએ કડક વલણ અપનાવ્યું છે. તેમણે માહિતી આપી હતી કે, સરકાર દ્વારા ગઈકાલે પણ અનેક સ્થળોએ દરોડા પાડીને જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કાળાબજારી કરનારા તત્વો સામે તંત્ર અત્યંત કડક કાર્યવાહી કરી રહ્યું છે અને કોઈને પણ છોડવામાં આવશે નહીં તેવી ખાતરી આપી હતી. સંગ્રહખોરીની જાણ તુરંત પુરવઠા વિભાગને કરવા જનતાને અપીલદિલીપ સંઘાણીએ દિવ્ય ભાસ્કરના માધ્યમથી સામાન્ય જનતાને અપીલ કરી છે કે, જો ક્યાંય પણ ગેસની કાળાબજારી કે ગેરકાયદેસર સંગ્રહખોરી થતી દેખાય, તો તુરંત સ્થાનિક પુરવઠા અધિકારીને જાણ કરવી. જનતાના સહયોગ વિના આવી બદીઓને રોકવી મુશ્કેલ છે, તેથી લોકોએ જાગૃત બનીને સરકારને માહિતી આપવી જોઈએ, જેથી જવાબદારો સામે ત્વરિત પગલાં ભરી શકાય. રૂટિન વ્યવસ્થા જાળવવા પ્રયાસો તેજગેસની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે સરકારના આગામી આયોજન અંગે તેમણે જણાવ્યું કે, ઉપલબ્ધ ચેનલો દ્વારા ઘરેલું ગેસનું વિતરણ વ્યવસ્થિત રીતે થાય તે માટે જરૂરી તમામ રૂટિન વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે. સરકાર વૈશ્વિક સ્થિતિ પર નજર રાખી રહી છે અને સપ્લાય ચેઈન પૂર્વવત્ થાય તે માટે પ્રયત્નશીલ છે. ગેસની અછતથી સુરતના 10,000 વીવિંગ યુનિટ્સ પ્રભાવિત; લોકોની રોજગારી પર પણ સંકટગલ્ફ દેશોમાં અશાંતિને કારણે ગેસ સપ્લાય ચેઈન ખોરવાતા સીધી અસર હવે સુરતના આર્થિક કરોડરજ્જુ સમાન ટેક્સટાઈલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. સુરતના વીવિંગ ઉદ્યોગમાં કોમર્સિયલ ગેસ સિલિન્ડરની ભારે તંગી સર્જાઈ છે. ખાસ કરીને ટ્વિસ્ટેડ યાર્નનો ઉપયોગ કરતા અંદાજે 10,000 જેટલા વીવિંગ યુનિટ્સ આ અછતથી સીધા અસરગ્રસ્ત બન્યા છે. વીવિંગ ઉદ્યોગમાં કાપડના ઉત્પાદન પહેલા યાર્ન (દોરા) પર પ્રક્રિયા કરવી અનિવાર્ય હોય છે. વીવર અગ્રણી અશોક જીરાવાલાના જણાવ્યા અનુસાર, 1200 RPMથી વધુ સ્પીડ ધરાવતા મશીનો પર કાપડ બનાવતા પહેલા યાર્નને હીટ (ગરમી) આપવી પડે છે. આ પ્રોસેસ વગર હાઈ-ક્વોલિટી કાપડ બનાવવું અશક્ય છે. હાલમાં ગેસના અભાવે આ હીટિંગ પ્રક્રિયા ખોરવાઈ છે, જેના કારણે ઉત્પાદન પ્રક્રિયા ધીમી પડી ગઈ છે. દક્ષિણ ગુજરાત વીવિંગ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અશોક જીરાવાલાએ પરિસ્થિતિની સ્પષ્ટતા કરતા કહ્યું કે, સુરતમાં કુલ 55,000 જેટલા વીવિંગ યુનિટ્સ કાર્યરત છે, તેમાંથી તમામમાં વરાળ (Steam)નો ઉપયોગ થતો નથી, પરંતુ અંદાજે 30% યુનિટ્સ એવા છે, જ્યાં ટ્વિસ્ટેડ યાર્ન વપરાય છે અને ત્યાં સ્ટીમ આપવી ફરજિયાત છે. આ ગણતરી મુજબ, લગભગ 10,000 જેટલા એકમો ગેસની અછતને કારણે મોટા પાયે પ્રભાવિત થવાની શક્યતા છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ)

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 12:29 pm

બોટાદ પાંજરાપોળમાં અબોલ ગાયોને લીલી નીણ અપાઈ:સીતારામ ધૂન મંડળે એક આઇસર ભરી ઘાસચારો આપ્યો

સીતારામ ધૂન મંડળ દ્વારા બોટાદ મહાજન પાંજરાપોળ ખાતે અબોલ ગાયો માટે જીવદયાનું કાર્ય કરવામાં આવ્યું છે. મંડળ દ્વારા એક આઇસર ભરીને લીલી નીણ પાંજરાપોળને અર્પણ કરવામાં આવી હતી. આનંદધામ ગ્રીન સિટી સ્થિત સીતારામ ધૂન મંડળ દર અગિયારસના દિવસે ધૂન કાર્યક્રમોનું આયોજન કરે છે. આ ઉપરાંત, તેઓ સારા કે મોળા પ્રસંગોએ ધૂન કરવા જાય છે. આ પ્રવૃત્તિઓથી થતી આવકનો ઉપયોગ અબોલ ગાયોના ઘાસચારા, પક્ષીઓના ચણ અને શ્વાનના રોટલા માટે થાય છે. ધૂન મંડળના સભ્યો કોઈપણ પ્રકારની ફી લીધા વિના ધૂન કરવા જાય છે. બોટાદ મહાજન પાંજરાપોળ દ્વારા સીતારામ ધૂન મંડળનો આ કાર્ય બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 12:25 pm

પાટણ શહેરના નીલમ સિનેમા પાસે ફાયરિંગ:જૂની અદાવતમાં હુમલો,એક વ્યક્તિ ઘાયલ; પોલીસ ઘટના સ્થળે

પાટણ શહેરમાં અચાનક ફાયરિંગની ઘટનાથી દહેશતનો માહોલ સર્જાયો છે. શહેરના નીલમ સિનેમા પાસે જૂની અદાવતમાં અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરતા એક ઈસમ ઘાયલ થયો હોવાની માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર પાટણ શહેરના નીલમ સિનેમા પાસે જૂની અદાવતને લઈને ફાયરિંગની ઘટના બની હતી. જેમાં એક ઈસમને ગોળી વાગતા તે ઘાયલ થયો હતો. ઘાયલને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પગલાં લેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને ફાયરિંગ કરનાર શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છેઆ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ…

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 12:14 pm

સુરતમાં કોથળામાંથી મળેલી મહિલાના લાશના PM રિપોર્ટમાં ઘટસ્ફોટ:હાથ-પગ બાંધી ગળું દબાવી મર્ડર, પારિવારિક કલેશમાં પરિચિત મહિલાએ હત્યા કર્યાની શંકા

સુરત શહેરના અમરોલી કોસાડ આવાસમાં રહેતા 57 વર્ષીય મૂળ બિહારની મહિલાની ગળે ટૂંપો આપી હત્યા કરી પ્લાસ્ટિકના કોથળામાં ભરીને ફેંકી દેવાયેલી લાશ ગઈકાલે (11 માર્ચ) અમરોલી કોસાડ આવાસ નજીકથી મળી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પારિવારિક કલેશમાં પરિચિત મહિલાએ જ આધેડ મહિલાની હત્યા કરી હોવાની આશંકા છે. આ સાથે ફરીથી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં મહિલાની હત્યા પહેલાં હાથ-પગ બાંધી અને ગળું દબાવીને કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસે શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ શરૂ કરી છે. 10 માર્ચે ઘરેથી નિકળ્યાની ગણતરીની કલાકોમાં મહિલાની હત્યામળતી માહિતી પ્રમાણે, અમરોલી કોસાડ આવાસ એચ-2 બિલ્ડિંગમાં મૂળ બિહારના મોહમદ પરવેખ આલમ યુનુસ મન્સુરી છેલ્લા ઘણા સમયથી ભાઈ તથા માતા હમીદાખાતુન (ઉં.વ.57) સાથે રહે છે. મોહમદ પરર્વેખ અને તેનો ભાઈ કતારગામની જવેલરી દુકાનમાં કામ કરે છે. 10 માર્ચની સવારે 11 વાગ્યાના અરસામાં હમીદાખાતુન બજારમાં કપડાં લેવાના રહી ગયા છે, તે લેવા માટે જાઉં છું, કહીને ઘરેથી નીકળ્યા હતા. કોથળો ખોલતા અંદરથી લાશ મળી, એકથી વધુ લોકોની સંડોવણી હોય શકેમોડે સુધી ઘરે નહીં આવતા પરિવાજનોએ અમરોલી પોલીસમાં ગુમ થયાની ફરિયાદ આપી હતી. દરમિયાનમાં ગતરોજ 11માર્ચને બુધવારે સવારે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ આવાસમાં સફાઈ કરી રહ્યા હતા. ત્યારે એચ-2 બિલ્ડિંગ પાસે આવેલા હનુમાનજી મંદિરની દિવાલ પાસે કર્મચારીને પ્લાસ્ટિકના એક કોથળામાંથી તીવ્ર દુર્ગંધ આવતા શંકા ગઈ હતી, જેથી કર્મચારીએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. સ્થાનિક અમરોલી પોલીસ સ્થળ પર પહોંચી કોથળો ખોલતા અંદરથી હમીદાખાતુનની લાશ મળી આવી હતી. પારિવારીક કલેશમાં હત્યા થયાની પોલીસને શંકાપોલીસે તુરંત મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ઘટનાની જાણ થતાં ડોગ સ્ક્વોડ પણ ઘટનાસ્થળે તપાસમાં જોડાઈ હતી. બનાવ અંગે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, મરનાર હમીદાખાતુનની જે રીતે હત્યા કરીને લાશ ફેંકવામાં આવી છે, તે જોતા પારિવારીક કલેશના કારણે હત્યા થઇ હોવાનું અનુમાન છે. પોલીસે પરિવારના સભ્યોનું નિવેદન લઈ શંકાસ્પદ પરિચિત મહિલા સહિત કેટલાકની પણ કડક પૂછપરછ હાથ ધરી છે. મહિલાના હાથ-પગ બાંધી હત્યા કરાઈઃ ડો. સંદીપ પલોતી હમીદાખાતુનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરનાલ ડો.સંદીપ પલોતીએ જણાવ્યું હતું કે, ફોરેન્સિક વિભાગ દ્વારા લાશના પરિક્ષણમાં મરનારનું મોઢું, નાક અને ગળાના ભાગ દબાવીને તેમજ માથામાં ઇજા થવાના કારણે મોત થયાનું માલુમ પડયું છે. હત્યા સમયે હમીદાખાતુના પગ અને હાથ બાંધી દીધા હતા. હત્યા 30 કલાક પહેલાં કરી હોવાનું અનુમાન છે. સુરતમાં કોથળામાંથી મહિલાનો મૃતદેહ મળ્યો, પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી તપાસ હાથ ધરી

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 12:10 pm

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્ટાર્ટઅપ ક્રાંતિ:SUSEC અને હાઉસ ઓફ સ્ટાર્ટ્સ વચ્ચે MoU, રોકાણ અને મેન્ટરશિપની મળશે નવી તકો

સૌરાષ્ટ્રના યુવાનોમાં રહેલી નવતર વિચારધારાને ઉદ્યોગનું રૂપ આપવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 'સ્ટાર્ટ-અપ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ કાઉન્સિલ' (SUSEC) દ્વારા એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. 10 માર્ચ 2026ના રોજ SUSEC અને 'હાઉસ ઓફ સ્ટાર્ટ્સ' વચ્ચે સ્ટાર્ટઅપ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સામૂહિક સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા છે. આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય નવીન વિચારો ધરાવતા યુવાનોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી તેમને આત્મનિર્ભર બનાવવાનો છે. મેન્ટરશિપ અને રોકાણની નવી ક્ષિતિજોઆ MoU અંતર્ગત બંને સંસ્થાઓ સાથે મળીને સ્ટાર્ટઅપ્સ માટે રોકાણ (Investment) મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવશે. જે સ્ટાર્ટઅપ્સ પાસે પ્રોજેક્ટ તૈયાર છે, તેમને જરૂરી ફંડિંગ મળી રહે તે માટે માહિતીની આપલે કરવામાં આવશે. આ ઉપરાંત, ઉદ્યોગ જગતના નિષ્ણાતો દ્વારા યુવાનોને મેન્ટરશિપ અને નેટવર્કિંગની સુવર્ણ તકો પૂરી પાડવામાં આવશે, જેથી તેઓ પોતાના વ્યવસાયને વૈશ્વિક સ્તરે લઈ જઈ શકે. તાલીમ અને જ્ઞાનનું આદાન-પ્રદાનસ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમના સર્વાંગી વિકાસ માટે બંને સંસ્થાઓ પોતાના જ્ઞાન અને અનુભવોની વહેંચણી કરશે. યુવાનોમાં ઉદ્યમિતાની ભાવના જાગૃત કરવા માટે સંયુક્ત રીતે વિશેષ તાલીમ કાર્યક્રમો, જાગૃતિ અભિયાન અને વર્કશોપનું આયોજન કરવામાં આવશે. આ સહયોગથી સૌરાષ્ટ્ર પ્રદેશની સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ વધુ મજબૂત બનશે અને સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકોનું સર્જન થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 12:07 pm

જામનગરમાં આંતર કોલેજ સાયકલિંગ સ્પર્ધા યોજાઈ:વિજેતા ખેલાડીઓને સાયકલની અનોખી ભેટ આપી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવો ઈતિહાસ રચાયો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષ 2026ની ઇન્ટર કોલેજ રોડ સાયકલિંગ સ્પર્ધાનું આયોજન 8/3/2025ના રોજ જામનગરના વાલસુરા રોડ ખાતે કરવામાં આવ્યું હતું. ભવન્સ એચ.જે. દોશી કોલેજ, જામનગર દ્વારા સંચાલિત આ સ્પર્ધામાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી 30થી વધુ ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ આયોજનમાં સૌથી આકર્ષક બાબત એ રહી કે ઇતિહાસમાં પ્રથમ વખત વિજેતાઓને પ્રોત્સાહનરૂપે સાયકલ ભેટ આપવામાં આવી હતી. સ્પર્ધાનું પરિણામ અને વિજેતાઓસ્પર્ધામાં ભાઈઓ માટે 30 કિમી અને બહેનો માટે 20 કિમીની રોડ રેસ રાખવામાં આવી હતી. ભાઈઓના વિભાગમાં કામાણી સાયન્સ કોલેજ, અમરેલી ચેમ્પિયન બની હતી, જ્યારે ભવન્સ એચ.જે. દોશી કોલેજ, જામનગર રનર્સ-અપ રહી હતી. બહેનોના વિભાગમાં ભવન્સ એ.કે. દોશી મહિલા કોલેજ, જામનગર ચેમ્પિયન અને કામાણી સાયન્સ કોલેજ, અમરેલી રનર્સ-અપ જાહેર થઈ હતી. બંને વિભાગના પ્રથમ 6 ખેલાડીઓ હવે મહારાષ્ટ્રના ઔરંગાબાદ ખાતે યોજાનારી ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે. પ્રોત્સાહન અને નવી પહેલઇનામ વિતરણ કાર્યક્રમમાં કોલેજના ટ્રસ્ટી રજનીકાંત પ્રાગડા અને યુનિવર્સિટી ઓબ્ઝર્વર ડો. એચ.એ. ભાલીયા ઉપસ્થિત રહ્યા હતા. યુવા ઉદ્યોગપતિ મિતેશભાઈ લાલ દ્વારા ચેમ્પિયન બનેલા ખેલાડીઓને સાયકલ ભેટ આપી એક અનોખી શરૂઆત કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમવાર આયોજક કોલેજ દ્વારા વિજેતાઓને સાયકલ એનાયત કરાઈ છે, જે રમતવીરો માટે પ્રેરણાદાયી બની રહેશે. સફળ સંચાલન અને અભિનંદનઆ સમગ્ર ઇવેન્ટનું સફળ સંચાલન પ્રિન્સિપાલ ડો. તોસીફખાન પઠાણ અને તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સુંદર આયોજન બદલ કુલપતિ ડો. ઉત્પલ જોશી, રજીસ્ટ્રાર અને ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશ રાબાએ કોલેજ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 12:05 pm

ખાડી તણાવથી ગુજરાતની સીફુડ નિકાસ પર અસર:કન્ટેનર ભાડા વધ્યા, નિકાસ અટકી, કોલ્ડ સ્ટોરેજ ભરાવાની ભીતિ

ખાડી દેશોમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય તણાવની ગુજરાતના સીફુડ નિકાસ ઉદ્યોગ પર ગંભીર અસર જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસમાં નિકાસ માટેના શિપિંગ કન્ટેનરના ભાડામાં નોંધપાત્ર વધારો થયો છે, જ્યારે વિદેશથી આવતા કન્ટેનરોની સંખ્યામાં ઘટાડો થયો છે. આના કારણે સીફુડની નિકાસ પર અનિશ્ચિતતા ઊભી થઈ છે. સીફુડ ઉદ્યોગ પર સીધું દબાણ ગુજરાતમાંથી દર વર્ષે આશરે 7,000થી વધુ કન્ટેનર દ્વારા લગભગ દોઢ લાખ ટન સીફુડ ખાડી દેશો સહિત આંતરરાષ્ટ્રીય બજારોમાં મોકલવામાં આવે છે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિને કારણે શિપિંગ અને લોજિસ્ટિક્સ વ્યવસ્થામાં અવરોધો સર્જાયા છે, જે સીફુડ ઉદ્યોગ પર સીધું દબાણ વધારી રહ્યા છે. ‘તૈયાર માલની નિકાસ અટકી જશે’ : પૂર્વ પ્રમુખ, સીફુડ એક્સપોર્ટ એસો. ઓફ ઇન્ડિયાા સીફુડ એક્સપોર્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પૂર્વ પ્રમુખ અને અગ્રણી ઉદ્યોગકાર જગદીશ ફોફંડીએ જણાવ્યું હતું કે, જો આગામી 10 દિવસ સુધી આ પરિસ્થિતિ યથાવત્ રહેશે, તો સીફુડ કંપનીઓના કોલ્ડ સ્ટોરેજ ભરાઈ જવાની શક્યતા છે. આનાથી તૈયાર માલની નિકાસ અટકી જશે અને ઉદ્યોગને મોટું આર્થિક નુકસાન થશે. 'કન્ટેનર ભાડા, લોજિસ્ટિક્સ ખર્ચમાં અંદાજે 15થી 20 ટકાનો વધારો' તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હાલમાં નિકાસ યુનિટોમાં કન્ટેનર ભાડા અને લોજિસ્ટિક્સ ખર્ચમાં અંદાજે 15થી 20 ટકાનો વધારો નોંધાયો છે. જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો આગામી સમયમાં આ વધારો 30થી 60 ટકા સુધી પહોંચી શકે છે. ‘ગુજરાતના ઉદ્યોગોને અન્ય રાજ્યો કરતાં વધુ અસર થવાની સંભાવના’ ફોફંડીના મતે, ગુજરાતના સીફુડ નિકાસ યુનિટો અન્ય રાજ્યોની સરખામણીમાં નાના છે અને તેમની કોલ્ડ સ્ટોરેજ ક્ષમતા પણ મર્યાદિત છે. આથી, આવી સ્થિતિમાં ગુજરાતના ઉદ્યોગોને અન્ય રાજ્યો કરતાં વધુ અસર થવાની સંભાવના છે. ફિશ એક્સપોર્ટ ઉદ્યોગ મૂળભૂત રીતે ઓછા મૂલ્ય અને ઓછા માર્જિનવાળો હોવાથી વધતા ખર્ચનો સીધો બોજ ઉદ્યોગકારો પર પડશે. 'કોલ્ડ સ્ટોરેજ ભરાવાની ભીતિ' સામાન્ય રીતે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં માછલીનું ઉત્પાદન મર્યાદિત હોય છે, પરંતુ માર્ચ મહિનાથી દરિયામાં માછલીની આવક વધે છે. જો આગામી 10 દિવસમાં આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ સુધરશે નહીં, તો કોલ્ડ સ્ટોરેજ ભરાઈ જવાની અને નવી આવતી માછલીની નિકાસ અટકી જવાની સંભાવના છે. આ પરિસ્થિતિની સીધી અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં કામ કરતા માછીમારો તેમજ સીફુડ ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો શ્રમિકો અને વ્યવસાયકારો પર પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 11:48 am

સુરેન્દ્રનગરમાં ચોખાના શંકાસ્પદ 46 કટ્ટા ઝડપાયા:પુરવઠા વિભાગે વઢવાણ-લખતર રોડ પર વાહન સીઝ કર્યું; લાખોનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગે વઢવાણ-લખતર રોડ પર મોટી કાર્યવાહી કરી છે. કલેક્ટર કે.એસ. યાજ્ઞિકના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી એ.જી. ગજ્જરની ટીમે 46 કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો અને એક વાહન સીઝ કર્યું છે. આ કાર્યવાહીમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનાજની ગેરકાયદેસર હેરફેર અને કાળાબજારી જેવી પ્રવૃત્તિઓને રોકવા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. કલેક્ટર કે.એસ. યાજ્ઞિકના સીધા માર્ગદર્શન હેઠળ પુરવઠા વિભાગ સતત મોનિટરિંગ અને તપાસ કરી રહ્યું છે. આના ભાગરૂપે જ વઢવાણ-લખતર રોડ પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જિલ્લા પુરવઠા અધિકારી એ.જી. ગજ્જરે માહિતી આપતા જણાવ્યું કે, પુરવઠા વિભાગની ટીમ વઢવાણ-લખતર રોડ પર સરપ્રાઈઝ ચેકિંગ કરી રહી હતી. યોગીરાજ પેટ્રોલિયમ અને ઝમર ગામ પાસેથી પસાર થઈ રહેલી GJ-03-BW-7406 નંબરની લેલન પીકઅપ ગાડી શંકાસ્પદ જણાતા તેને રોકવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં તેમાં અનાજનો મોટો જથ્થો ભરેલો હોવાનું જણાયું હતું. વાહનચાલકની પૂછપરછ કરતા તે અનાજના જથ્થાના વહન અંગે કોઈ સત્તાવાર પરવાનગી, પાસ-પરમિટ કે માન્ય બિલ રજૂ કરી શક્યો ન હતો. ઝીણવટભરી તપાસમાં જાણવા મળ્યું કે ગાડીમાં કુલ 46 કટ્ટા ચોખા, એટલે કે અંદાજે 2311.550 કિલોગ્રામ જથ્થો, કોઈપણ માન્ય આધાર-પુરાવા વગર ગેરકાયદેસર રીતે હેરફેર કરવામાં આવી રહ્યો હતો. આ કાર્યવાહી અંતર્ગત પુરવઠા વિભાગે અંદાજે રૂ. 62,411.85ની કિંમતના ચોખા અને અંદાજે રૂ. 4,00,000ની કિંમતનું વાહન મળી કુલ રૂ. 4,62,311.85નો મુદ્દામાલ 'આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ' હેઠળ સીઝ કર્યો છે. હાલ વિભાગ દ્વારા આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ ચાલી રહી છે. તંત્રએ ભવિષ્યમાં પણ આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવાની ચેતવણી આપી છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 11:42 am

અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:ફાયરવિભાગની ત્રણ ગાડીઓ કોર્ટ સંકુલમાં હાજર, આખી બિલ્ડિંગ ખાલી કરાઈ

અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટ (ઘી કાંટા)ને આજે(12 માર્ચ) બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઘટનાની જાણ થતાં જ ફાયરવિભાગની ત્રણ ગાડીઓ કોર્ટ સંકુલમાં પહોંચી ગઈ છે. હાલ આખી બિલ્ડિંગ ખાલી કરાઈ છે અને પોલીસ દ્વારા તપાસ ચાલું કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી માત્ર હાઈકોર્ટ અને ગ્રામ્ય કોર્ટને ઉડાવવાની ધમકીઓ મળી હતી, જ્યારે આ વખતે ઘી કાંટા ખાતે આવેલી મેટ્રો કોર્ટને બોમ્બથી ઉડાવવાની પ્રથમવાર ધમકી મળી છે. ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીઅમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાડવાની ધમકી મળતા સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ફાયર વિભાગની ત્રણ ગાડીઓ સહિત સ્થાનિક પોલીસ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે અને સુરક્ષાના કારણોસર આખી બિલ્ડિંગ તેમજ અપના બજારમાં કાર્યરત કોર્ટના વિભાગોને પણ ખાલી કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઝોન-2 ડીસીપી ભરત રાઠોડે જણાવ્યું હતું કે, તમામ લોકોને સલામત રીતે બહાર કાઢી લેવાયા છે અને હાલ સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 11:32 am

આગીયોલ સેવા સેતુ 2.0 માં આધારકાર્ડ સેવા ખોરવાઈ:લાભાર્થીઓ સવારથી રાહ જોતા રહ્યા, કર્મચારીઓ ગેરહાજર

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના આગીયોલ ગામની પ્રાથમિક શાળામાં આયોજિત સેવા સેતુ 2.0 કાર્યક્રમમાં આધારકાર્ડ સંબંધિત સેવાઓ ખોરવાઈ હતી. કર્મચારીઓની ગેરહાજરીને કારણે લાભાર્થીઓને સવારથી જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તાલુકા તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમ સવારે 8 વાગ્યે શરૂ થવાનો હતો. આરોગ્ય વિભાગ અને એસટી વિભાગ સહિતના કેટલાક વિભાગોના કર્મચારીઓ સમયસર હાજર રહ્યા હતા. જોકે, સવારે 10 વાગ્યા સુધી પણ આધારકાર્ડ વિભાગના કોઈ કર્મચારીઓ આવ્યા ન હતા. આધારકાર્ડ સેવા મેળવવા માટે આસપાસના ગામોમાંથી લાભાર્થીઓ સવારે 8 અને 9 વાગ્યાથી જ આવી પહોંચ્યા હતા. પરંતુ સંબંધિત વિભાગના કર્મચારીઓની ગેરહાજરીને કારણે તેમને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી અને તેઓ અટવાયા હતા. આ સેવા સેતુ કાર્યક્રમ આગીયોલ ઉપરાંત ગામડી, વામોજ, વેજરપનો મઠ, દેસાસણ, મનોરપુર, ઠુમરા, બાવસર, સાકરોડિયા અને ઢુંઢર સહિતના આસપાસના ગામોના લાભાર્થીઓ માટે આયોજિત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 11:26 am

ફોન બુકિંગ બંધ થતા ગ્રાહકો એજન્સી પર ઉમટ્યા:પાટણમાં ગેસ સિલિન્ડર માટે લાંબી લાઈનો, નવા નિયમના બોર્ડ લાગ્યા

પાટણ અને રાધનપુર શહેરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગેસ સિલિન્ડર નોંધાવવા માટે લાંબી કતારો જોવા મળી રહી છે. પાટણના ત્રણ દરવાજા પાસે આવેલી એજન્સીમાં આજે સવારથી જ સિલિન્ડર માટે લાઈન લાગી હતી. ગ્રાહકોના જણાવ્યા અનુસાર, ઓનલાઈન બુકિંગ માટે સર્વર ધીમું હોવાથી મુશ્કેલી પડી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા બે દિવસથી ફોન દ્વારા ગેસ બુકિંગની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવા છતાં બુકિંગ થઈ શકતું નથી, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં, ઘણા ગ્રાહકો સિલિન્ડર મેળવવા માટે સીધા એજન્સી પર પહોંચી રહ્યા છે, જેના પરિણામે દિવસભર લાંબી કતારો જોવા મળે છે. સવારથી જ મોટી સંખ્યામાં લોકો ગેસ એજન્સી ખાતે ઉમટી પડતાં અવ્યવસ્થા સર્જાઈ હતી. વૃદ્ધો, મહિલાઓ અને નોકરિયાત વર્ગના લોકો પણ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા. દક્ષાબેન નામના ગ્રાહકે આક્ષેપ કર્યો હતો કે એજન્સી દ્વારા વારંવાર સર્વર ડાઉન હોવાનું કહેવામાં આવે છે, પરંતુ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. નાગરિકોએ જવાબદાર તંત્રને અપીલ કરી છે કે ગેસ બુકિંગની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે. લોકોની સુવિધા માટે ફોન અને ઓનલાઈન બુકિંગ વ્યવસ્થા સરળ અને સુલભ બનાવવાની માંગ કરવામાં આવી છે, જેથી ગ્રાહકોને વારંવાર એજન્સીના ધક્કા ન ખાવા પડે. પાટણની ગેસ એજન્સીના સંચાલક અર્જૂન યોગીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, કંપનીના નિયમ અનુસાર છેલ્લી રિફિલ ડિલિવરી લીધાના 25 દિવસ પછી જ નવું બિલ બનશે. વહેલું બુકિંગ થયેલું હોવા છતાં બિલ નહીં બને તો કંપનીના નવા નિયમ અનુસાર જ રિફિલ મળશે. તેમણે સ્ટાફ સાથે બિનજરૂરી તકરાર ન કરવા પણ સૂચના આપી હતી. વધુમાં, પહેલા 6 ગાડી આવતી હતી તેની જગ્યાએ હાલ 3 ગાડી જ આવે છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 11:18 am

ચોટીલા ઉત્સવમાં પરંપરાગત લોકનૃત્યોની રજૂઆત:રાજ્યભરના કલાકારોએ ગણેશ વંદના, લાવણી, હૂડો રાસ રજૂ કર્યા

ચોટીલા ઉત્સવ-2026 અંતર્ગત ચોટીલા સ્થિત શ્રી ચામુંડા માતાજી મંદિરના તળેટી પાર્કિંગ પ્લોટ ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં લોકનૃત્ય અને લોકસંગીતની રજૂઆત થઈ હતી. રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવેલા કલાકારો દ્વારા ગણેશ વંદના, લાવણી નૃત્ય, હૂડો રાસ, ગોહિલવાડીના પ્રાચીન ગરબા તથા પાવરી નૃત્ય સહિતના પરંપરાગત લોકનૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા. ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમના સમાપ્તિએ નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા ભાગ લેનાર તમામ લોકનૃત્ય મંડળીઓ અને કલાકારોને પ્રમાણપત્ર તથા મોમેન્ટો અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આવા સાંસ્કૃતિક કાર્યક્રમો ગુજરાતની સમૃદ્ધ લોકસંસ્કૃતિ અને પરંપરાગત કળાઓને પ્રોત્સાહન આપે છે, તેમજ યુવા પેઢીને પોતાની સંસ્કૃતિ સાથે જોડાવા પ્રેરિત કરે છે. ચોટીલા ઉત્સવમાં યોજાયેલા કાર્યક્રમો સફળતાપૂર્વક સંપન્ન થયા હતા. મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહીને લોકસંસ્કૃતિનો આનંદ માણ્યો હતો.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 11:09 am

સુરત મેટ્રો ડેપોમાં રૂ. 31 લાખના કોપર વાયરની ચોરી:ભંગારના વેપારીઓ સહિત બેની ધરપકડ, રજાના દિવસોનો ફાયદો ઉઠાવી રેકી કરી હતી

સુરત શહેરમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે, ત્યારે તસ્કરોએ હવે સરકારી પ્રોજેક્ટના કિંમતી સામાનને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. ભેસાણ મેટ્રો ડેપોમાં થયેલી રૂ. 31.68 લાખની કોપર કેબલની ચોરીના કેસમાં પોલીસે સફળતા મેળવી છે. આ ચોરીમાં સંડોવાયેલા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી એક વ્યવસાયે ભંગારનો વેપારી હોવાનું સામે આવ્યું છે. બને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસે હાલ આરોપી પાસેથી રૂ. 1 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. ભંગારના વેપારીએ જ ચોરીના માલનો વહીવટ કર્યોભેસાણ મેટ્રો ડેપોના સ્ટોરને નિશાન બનાવનાર ગેંગમાં ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલા તત્વોની ભૂમિકા મુખ્ય હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. ધરપકડ કરાયેલા બંને આરોપીમાંથી એક ભંગારનોવેપારી છે, જેમણે ચોરીનો આટલો મોટો જથ્થો ઠેકાણે પાડવામાં મદદ કરી હતી. પોલીસને આશંકા છે કે, આ ગેંગમાં હજુ પણ કેટલાક રીઢા ગુનેગારો અને મજૂરો સામેલ હોઈ શકે છે, જેમણે ડેપોની અંદરની તમામ વિગતો આરોપીઓને પૂરી પાડી હતી. હાલમાં પોલીસે બંને આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે. બંને આરોપીનો ગુનાહિત ઇતિહાસ પોલીસે બે મુખ્ય આરોપીને દબોચી લીધા છે, જેમાં પ્રથમ આરોપી મનીષ હામિદ શેખ (ઉં.વ. 21) છે, જે મૂળ રાજસ્થાનના ભરતપુરનો વતની છે અને હાલ ભેસાણ વિસ્તારમાં જ રહે છે અને ભંગારનો વેપારી છે. તે અગાઉ પણ ચોરીના ગુનામાં સંડોવાયેલો છે. જ્યારે બીજો આરોપી વણકર સવસિંગભાઈ કટારા (ઉં.વ. 24) છે, જે મૂળ દાહોદનો રહેવાસી છે અને શ્રમિક છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ચોરીના નેટવર્કમાં ભંગારના વેપાર સાથે સંકળાયેલા શખ્સોની પણ ભૂમિકા હતી, જેઓ ચોરીના કિંમતી કોપર કેબલને સસ્તા ભાવે ખરીદીને આગળ વેચવાની પેરવીમાં હતા. નોંધનીય છે કે, આ બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. મનીષ શેખ વિરુદ્ધ અગાઉ ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયેલો છે, જ્યારે વણકર કટારા પણ અગાઉ ઈચ્છાપોર વિસ્તારમાં જ લૂંટ અને ચોરી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. 15 ડ્રમમાંથી વાયર ખેંચી તસ્કર ટોળકી ગાયબગાંધીનગરના કોબા હાઈવે પર રહેતા અને મેટ્રો પ્રોજેક્ટમાં ક્વોલિટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા સાગરભાઈ સંદીપકુમાર શાહ દ્વારા પાલ પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવાઈ હતી. ફરિયાદ મુજબ, ભેસાણ મેટ્રો કમ્પાઉન્ડમાં ખુલ્લા શેડમાં કોપર કેબલના કુલ 15 ડ્રમ રાખવામાં આવ્યા હતા. તસ્કરોએ આ ડ્રમમાંથી સિફતપૂર્વક તમામ કોપર વાયર ખેંચી લીધો હતો. આટલી મોટી માત્રામાં વાયર લઈ જવા માટે તસ્કરોએ વાહનનો ઉપયોગ કર્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ આવે છે. રજાના દિવસોનો ફાયદો ઉઠાવી રેકી કરી હતીઆ ચોરીની ઘટના ગત તારીખ 28 ફેબ્રુઆરીથી 2 માર્ચ દરમિયાન બની હતી. હોળી-ધૂળેટીના તહેવારોની રજાઓ હોવાથી ડેપો પર કામગીરીનું ભારણ ઓછું હતું અને સુરક્ષામાં પણ ક્યાંક કચાસ રહી ગઈ હતી. તસ્કરોએ અગાઉથી જ ડેપોની રેકી કરી હતી અને તેમને ખબર હતી કે કયા સમયે સ્ટોર પર નજર રાખવી અઘરી છે. રાત્રિના અંધકારનો લાભ લઈ આરોપીઓએ 31.68 લાખની મતા પર હાથ સાફ કરી દીધો હતો. બે દિવસ બાદ જ્યારે એન્જિનિયરો તપાસ માટે પહોંચ્યા ત્યારે ચોરીનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે 1 લાખનો માલ રિકવર કર્યો, મુખ્ય સૂત્રધારની શોધખોળઘટનાની ગંભીરતા જોતા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે બે ભંગારના વેપારીઓને દબોચી લીધા હતા. તેમની પાસેથી ચોરાયેલા વાયરો પૈકી અંદાજે રૂ. 1 લાખની કિંમતનો માલ રિકવર કરવામાં આવ્યો છે. જોકે, હજુ પણ 30 લાખથી વધુનો માલ અને આ ચોરીનો મુખ્ય માસ્ટરમાઈન્ડ પોલીસ પકડથી દૂર છે. પોલીસને આશા છે કે આ બંનેની પૂછપરછમાં સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થશે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 10:57 am

મુખ્યમંત્રીના દાહોદ પ્રવાસ પૂર્વે તંત્ર સક્રિય:કલેક્ટરે કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કરી સુવિધાઓ ચકાસી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 15 માર્ચે દાહોદ જિલ્લાની મુલાકાત લેશે. આ પ્રવાસ દરમિયાન વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાશે. વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમોની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ તૈયારીઓના ભાગરૂપે, ગુરુવારે કલેક્ટર યોગેશ નિરગુડેએ કાર્યક્રમ સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે સુરક્ષા વ્યવસ્થા અને ઉપલબ્ધ સુવિધાઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. કલેક્ટરે ખાસ સૂચના આપી હતી કે, કાર્યક્રમમાં આવનાર નાગરિકોને ગરમીને કારણે કોઈ મુશ્કેલી ન પડે. માર્ચ મહિનામાં વધતી જતી ગરમી અને હીટવેવની આગાહીને ધ્યાનમાં રાખીને, સભાસ્થળે પીવાના શુદ્ધ પાણીની પર્યાપ્ત વ્યવસ્થા, પંખા અને વોટર કુલર મૂકવા તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત, કોઈપણ કટોકટીની સ્થિતિ માટે મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સની તૈનાતી માટે પણ આદેશો જારી કરાયા છે. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડવાની શક્યતાને જોતા, ટ્રાફિક જામ ન થાય તે માટે પાર્કિંગ અને અવરજવરના રૂટ નક્કી કરવામાં આવ્યા છે. કલેક્ટરે સ્ટેજ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા અને વીઆઈપી મૂવમેન્ટ અંગે પોલીસ અને વન વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી. તેમણે પ્રોટોકોલ મુજબ તમામ વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ કરવા જણાવ્યું. આ સ્થળ નિરીક્ષણ દરમિયાન પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીના, પ્રાંત અધિકારી વાઘેલા, નાયબ પોલીસ અધિક્ષક પટેલ, નાયબ વન સંરક્ષક બ્રિજેશ ચૌહાણ સહિત જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. કલેક્ટરે તમામ વિભાગો વચ્ચે સંકલન સાધીને કાર્યક્રમને સફળ બનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 10:53 am

વલસાડમાં આજે 38°C તાપમાનની શક્યતા:ગઇકાલ કરતાં 1 ડિગ્રી ઓછું રહેશે, કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત

વલસાડ જિલ્લામાં આજે પણ કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. હવામાન વિભાગના અહેવાલ મુજબ, આજે મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે. જોકે, ગઇકાલની સરખામણીમાં તાપમાનમાં લગભગ 1 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે, જે થોડી રાહત આપી શકે છે. આજે દિવસભર આકાશ મોટાભાગે ચોખ્ખું અને સૂર્યપ્રકાશિત રહેશે, જેના કારણે બપોરના સમયે તીવ્ર ગરમીનો અનુભવ થશે. રાત્રિના સમયે લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે, જેના કારણે રાત્રે થોડી ઠંડક અનુભવાઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર, ઉત્તર દિશામાંથી લગભગ 11 માઇલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હવામાં 21 ટકા જેટલો ભેજ રહેશે. UV ઇન્ડેક્સ 9 સુધી પહોંચવાની શક્યતા હોવાથી ત્વચા પર સૂર્યપ્રકાશની સીધી અસર થવાની સંભાવના વધુ છે. આજે વરસાદ પડવાની કોઈ શક્યતા નથી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા, પૂરતું પાણી પીવા અને તડકાથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 10:51 am

આપઘાતની ઘટનાઓ રોકવા મહીસાગર નદી ઉપર સુરક્ષા કવચ:વાસદ નજીકના ત્રણેય બ્રિજની 6 પાળીઓ ઉપર જાળી લગાવવાની કામગીરી શરૂ

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયમાં આપઘાતના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વાસદ નજીકથી પસાર થતી મહીસાગર નદીમાં ઝંપલાવી આપઘાત કરવાના કિસ્સાઓ છેલ્લા કેટલાક વર્ષોમાં વધ્યા હતા, જેના કારણે હાઇવે પરના ત્રણેય બ્રિજ ઉપર જાળી લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા લોકોની સુરક્ષા માટે નિર્ણય લેવાયોમહીસાગર નદી ઉપર અવારનવાર આપઘાતની ઘટનાઓ બનતી હતી, જેના કારણે વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્થાનિક સાંસદ દ્વારા પણ આ અંગેની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને આ અંગે યોગ્ય નિર્ણય લેવા માટે રજૂઆત કરાઈ હતી. તેઓની રજૂઆતના પગલે મહીસાગર નદી પર વાસદ નજીક ત્રણ બ્રિજ આવેલા છે. આ ત્રણયે બ્રિજની 6 પાળીઓ ઉપર જાળી લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ એક તરફની પાળી ઉપર કામગીરી પૂર્ણ થઇ ગઈ છે. ભૂતકાળમાં સરેરાશ દર બે દિવસે એક બનાવ બનતો હતોમહીસાગર નદીમાં ઝંપલાવી આપઘાતના કિસ્સાઓ વધ્યા હતા. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, થોડા સમય અગાઉ સરેરાશ દર બે દિવસે એક બનાવ બનતો હતો, જેમાં કેટલાકના જીવ બચતા હતા તો કેટલાક મોતને ભેટતા હતા. ત્યારે લોકોના જીવ બચાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. અગાઉ પોલીસે બોર્ડ પણ લગાવ્યું હતુંનદીમાં આપઘાતના બનાવ બનતા અગાઉ સ્થાનિક પોલીસ દ્વારા બ્રિજ ઉપર બોર્ડ લગાવવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, જે લોકોને આત્મહત્યા કરવાનો વિચાર આવે તો એક તક પોલીસને આપો. તમારી સમસ્યા લઈને આવશો તો ચોક્કસ દૂર કરવાના પ્રયત્ન કરીશું. જીવન એ ઈશ્વરની એક ભેટ છે. તેવું સકારાત્મક વિચારી પોતાના તથા પોતાના પરિવારની ચિંતા કરતા આવું અઘટિત પગલું ન ભરવા અપીલ કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 10:47 am

નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળતા જ એક્શન મોડમાં:જામનગરમાં કાયદો વ્યવસ્થા જાળવવા ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ

ગુજરાતમાં તાજેતરમાં થયેલી ૩૭ આઈપીએસ અધિકારીઓની બદલીમાં નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જના આઈજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ચાર્જ સંભાળતાની સાથે જ આઈજી નિર્લિપ્ત રાય સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયા છે. તેમના નિર્દેશથી જામનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાખોરી અટકાવવા માટે ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આઈજી નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળ્યા બાદ રેન્જના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની, રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુજ્જર, સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું, મોરબીના પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલ અને દેવભૂમિ-દ્વારકાના પોલીસ અધિક્ષક જયવીરસિંહ વાળા ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરીને પાંચેય જિલ્લાઓમાં ગુના નિયંત્રણ, દરિયાકાંઠાની સુરક્ષા, ઔદ્યોગિક વિસ્તારોમાં શાંતિ જાળવવા અને કર્મચારીઓને ફરજ પ્રત્યે નિષ્ઠા રાખવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આઈજી નિર્લિપ્ત રાયની સૂચનાના પગલે જામનગર શહેર અને જિલ્લામાં યોજાયેલી ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન વિવિધ નિયમભંગ કરનારા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં નંબર પ્લેટ વગરના વાહનો, કારની બારીઓમાં અપારદર્શક ફિલ્મો લગાવનારા, ફેન્સી નંબર પ્લેટનો ઉપયોગ કરનારા, ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કિસ્સાઓ અને વાહનોમાં ધોકા જેવા હથિયારો સાથે નીકળેલા લોકોનો સમાવેશ થાય છે. આ ટ્રાફિક નાઇટ ડ્રાઇવ સમગ્ર જિલ્લા તેમજ શહેરના વિવિધ વિસ્તારો અને શહેરના પ્રવેશદ્વાર જેવા મુખ્ય માર્ગો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ નિકુંજસિંહ ચાવડા અને તેમની સર્વેલન્સ ટીમે પવનચક્કી સર્કલ ખાતે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરી હતી. આ ડ્રાઇવમાં સંખ્યાબંધ લોકો પાસેથી ઓનલાઈન દંડ વસૂલ કરવામાં આવ્યો હતો, જેના કારણે નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 10:35 am

નવાપરાથી ચોરાયેલી બાઈક સાથે યુવક ઝડપાયો:વરતેજ પોલીસે પોણા બે મહિના પહેલાની ચોરીનો ભેદ ઉકેલ્યો

ભાવનગરમાં વરતેજ પોલીસે સિદસર વાળુકડ ચોકડી વિસ્તારમાંથી એક શખ્સને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ચોરી થયેલી હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઈક મળી આવતા પોણા બે મહિના પહેલા ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી રાહુલની ધરપકડવરતેજ પોલીસ મથકથી મળતી માહિતી મુજબ, વરતેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે શહેરની સિદસર વાળુકડ ચોકડી વિસ્તારમાંથી એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ખુલ્યું હતું કે, આજથી પોણા બે મહિના પહેલા નવાપરા વિસ્તારમાં મનુભાઈ ગાઠીયાવાળાની દુકાન પાસે આવેલા કોમ્પ્લેક્ષ નજીકથી હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ ચોરી કરવામાં આવી હતી. પોલીસે રૂપિયા 25,000 કિમતની મોટરસાયકલ સાથે રાહુલ ઉર્ફે અગુ ભરતભાઈ મકવાણા (ઉં.વ. 20), રહે. સિદસર ગામ 25 વારીયા, ભાવનગરને ઝડપી પાડી ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 10:33 am

મંદિર પાછળ લઈ જઈ સગીરા પર દુષ્કર્મ:લાઘણજમાં માતા મજૂરીએ જાય ત્યારે આરોપી વારંવાર કુકર્મ આચરતો, ગર્ભવતી થતા આરોપી સામે ગુનો નોંધાયો

મહેસાણા જિલ્લાના લાઘણજ પોલીસ મથક વિસ્તારમાં આવતા એક ગામમાં માનવતાને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. જેમાં એક 14 વર્ષ 5 માસની સગીરાને લગ્નની લાલચ આપી અથવા પટાવી-ફોસલાવી ગામમાં આવેલા એક મંદિર પાછળ લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં સગીરા ગર્ભવતી બની જતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. જેના પગલે ભોગ બનનારની માતાએ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મંદિરના પાછળના ભાગમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યુંબનાવની વિગતો મુજબ પીડિત સગીરાની માતા જ્યારે મજૂરી અર્થે જતી હતી ત્યારે સગીરા ગામના મહાકાળી માતાના મંદિર પાસે માતાની પરત આવવાની રાહ જોઈને બેસતી હતી. આ સમયનો લાભ ઉઠાવી ગામના જીગરજી ઉર્ફે જીગો વિષ્ણુજી ઠાકોર નામના શખ્સે સગીરા સગીરવયની હોવાનું જાણવા છતાં તેને પોતાની જાળમાં ફસાવી હતી. આરોપીએ સગીરાને મહાકાળી માતાના મંદિરથી વેરાઈ માતાના મંદિરના પાછળના ભાગે આવેલી ખુલ્લી જગ્યામાં અવાર-નવાર લઈ જઈ તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. દુષ્કર્મને કારણે સગીરા ગર્ભવતી બની ગઈછેલ્લા છ માસના સમયગાળા દરમિયાન આચરેલા આ દુષ્કર્મને કારણે સગીરા ગર્ભવતી બની ગઈ હતી. આ બાબતની જાણ પરિવારને થતા ગંભીરતા સમજી માતાએ તાત્કાલિક લાઘણજ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે આ મામલે આરોપી જીગરજી ઠાકોર સામે બી.એન.એસ.ની કલમ 64(2)એમ,65(1),137(2) તથા પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલમાં પોલીસે આરોપીની અટકાયત કરવાના ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 10:20 am

LTના એન્જિનિયરે ગળાફાંસો ખાધો:લગ્ન સંબંધિત મૂંઝવણને કારણે આપઘાત કર્યાની આશંકા, વડોદરા પોલીસે તપાસ હાથ ધરી

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા શરદનગરમાં રહેતા 30 વર્ષીય LTના એન્જિનિયર નીરવ ગોપાલરાવ વિચારેએ રહસ્યમય સંજોગોમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેને લઈ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બેડરૂમમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુપ્રાપ્ત વિગતો અનુસાર, નીરવ ગોપાલરાવ વિચારે LT કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા. આ યુવક નોકરી પરથી ઘરે પરત ફર્યા બાદ તેમણે પોતાના બેડરૂમમાં ગળાફાંસો ખાઈને જીવનનો અંત લાવી દીધો હતો. મકરપુરા પોલીસે તપાસ હાથ ધરીબનાવની જાણ થતાં પરિવારજનો અને મકરપુરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળની તપાસ હાથ ધરી હતી તેમજ કાયદેસરની કાર્યવાહી કરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. લગ્ન સંબંધિત મૂંઝવણને કારણે આપઘાત કર્યાની આશંકાપ્રાથમિક તપાસમાં લગ્ન સંબંધિત મૂંઝવણને કારણે આ ઘટના બની હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે પોલીસે ઘટનાસ્થળે તપાસ કરતા કોઈ વાંધાજનક ચીજવસ્તુ મળી આવી નથી. આ મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 10:10 am

ગાંજો વેચવા ગિફ્ટ સિટીમાં લક્ઝુરિયસ ફ્લેટ ભાડે લીધો:રાજકોટનો યુવાન રોજનું 3,000 ભાડું ચુકવતો; 26 લાખનો ગાંજો, બે મોંઘા આઇફોન, ઇલેક્ટ્રિક વજન કાંટો જપ્ત

ગાંધીનગર ગિફ્ટ સિટીમાં શરતોને આધિન દારૂ પીવાની રાજ્ય સરકારે છૂટછાટ આપ્યા પછી ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. એવામાં ગઈકાલે(11 માર્ચ) ગિફ્ટ સિટીના શોભા ડ્રીમ હાઈટ્સ ટાવરના 23મા માળે ત્રાટકીને ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આશરે 26.11 લાખ રૂપિયાથી વધુ કિંમતનો નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ મામલે પોલીસે 25 વર્ષીય અંકિત રાજેશભાઈ કક્કડ(મૂળ રહે. દ્વારકા હાઇટ્સ, માધાપર ચોકડી પાસે, રાજકોટ, મૂળ વતની મોરબી) ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી રોજના 3,000 રૂપિયાના ભાડાથી રહેતો હતોઆ દરોડા દરમિયાન પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી અંકિત કક્કડ ગત 10 માર્ચથી આ ફ્લેટમાં 'Airbnb' એપ્લિકેશન મારફતે રોજના 3,000 રૂપિયાના ભાડાથી રહેતો હતો. એટલે કે માસિક 90 હજારથી વધુનું ભાડું ચૂકવતો હતો. આ રહેઠાણનું પેમેન્ટ પણ તેણે ઓનલાઇન ગુગલ પે દ્વારા કર્યું હતું. સર્ચ દરમિયાન ગાંજો મળ્યોપૂર્વ બાતમીના આધારે એસ.ઓ.જી. પી.આઈ. એચ.આઈ. ભાટી અને તેમની ટીમે ગઈકાલે(11 માર્ચ) રાતે આ ફ્લેટ પર દરોડો પાડ્યો હતો. રેઇડ દરમિયાન બેડરૂમમાં રાખેલી નાઇકીના સિમ્બોલવાળી બેગમાંથી 0.746 કિલોગ્રામ લીલાશ પડતો વનસ્પતિજન્ય પદાર્થ મળી આવ્યો હતો.જેના પગલે ઘટનાસ્થળે એફએસએલના સાયન્ટિફિક ઓફિસરને બોલાવી પદાર્થનું પરીક્ષણ કરાવતા તે ગાંજો હોવાનું ફલિત થયું હતું. વડોદરામાંથી ગાંજો ખરીદ્યો હતોપોલીસે 26.11 લાખનો ગાંજો, 4000 રૂપિયા રોકડા, બે મોંઘા આઇફોન, ઇલેક્ટ્રિક વજન કાંટો અને આધાર કાર્ડ સહિત કુલ 26,65,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીની પૂછપરછમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ગાંજાનો જથ્થો તેણે બે દિવસ પહેલા વડોદરાના તાંદલજા વિસ્તારમાં મેકડોનાલ્ડ્સ બર્ગર પાસેથી અનિકેત રબારી નામના શખ્સ પાસેથી મેળવ્યો હતો. હાલમાં ડભોડા પોલીસ સ્ટેશનમાં અંકિત કક્કડ અને અનિકેત રબારી વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 9:54 am

આજે રાજકોટ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ:9 શહેરમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી, અગનગોળા વરસતી ગરમીથી લોકો બેહાલ

ગુજરાતમાં ઉનાળાની શરૂઆતે જ સૂર્યદેવ આકરા પાણીએ થયા હોય તેમ તાપમાનનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે, જેના પગલે હવામાન વિભાગે આજે 12 માર્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં પારો 42 ડિગ્રીને પાર કરી શકે છે, જ્યારે અમદાવાદ, સુરત અને વડોદરા સહિતના 9 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી દિવસોમાં તાપમાનમાં 1 ડિગ્રી જેટલો નજીવો ઘટાડો થવાની શક્યતા છે, પરંતુ હાલમાં તો બપોરના સમયે કાળઝાળ ગરમી અને લૂના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રાજકોટ હાલમાં રાજ્યના સૌથી ગરમ શહેરોમાંનું એકહવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ.કે.દાસના જણાવ્યા અનુસાર રાજ્યમાં તાપમાનનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે. ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે. રાજ્યના ઘણા વિસ્તારોમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટ હાલમાં રાજ્યના સૌથી ગરમ શહેરોમાંનું એક છે, જ્યાં તાપમાન આજે પણ 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારો દ્વારકા અને ઓખા જેવા દરિયાકાંઠાના શહેરોમાં તાપમાન પ્રમાણમાં નીચું રહેશે, પરંતુ ભેજનું પ્રમાણ વધારે હોવાથી બફારો અનુભવાઈ શકે છે. વાદળછાયું વાતાવરણ થશે તો 1 ડિગ્રીનો ઘટાડો થઈ શકેહવામાન નિષ્ણાંત એ.ટી.દેસાઈના જણાવ્યા અનુસાર, હિમાચલ પ્રદેશો તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાને કારણે 0.5 ડિગ્રી સેલ્સિયસ જેટલો મહત્તમ તાપમાનની અંદર ઘટાડો સર્જાઈ શકે છે. આવતીકાલથી જો વાદળછાયું વાતાવરણ થશે તો રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટાડો જોવા મળી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારમાં અસહ્ય ઉકળાટનો કેર વસ્યોગુજરાતનો 64 ટકા વિસ્તાર બુધવારે હીટવવની ચપેટમાં રહ્યો હતો. જ્યારે 1600 કિલોમીટરના દરિયાકાંઠાના વિસ્તારમાં અસહ્ય ઉકળાટનો કેર વસ્યો હતો. હીટવેવની આ સ્થિતિના કારણે દેશના 10 સૌથી ગરમ શહેરોમાં 8 શહેર ગુજરાતના રહ્યા હતા. 41.9 ડિગ્રી સાથે રાજકોટ દેશનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે 41.3 ડિગ્રી તાપમાન સાથે દીવમાં ગરમીએ 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. વડોદરાએ 41.6 ડિગ્રી તાપમાન સાથે 7 વર્ષનો રેકોર્ડ તોડ્યોરાજકોટ બાદ 41.6 ડિગ્રી સાથે વડોદરા બીજુ અને 41.4 ડિગ્રી સાથે અમદાવાદ ત્રીજું સૌથી ગરમ શહેર રહ્યું હતું. છેલ્લા 75 વર્ષમાં 40.6 ડિગ્રી સાથે વેરાવળમાં માર્ચ મહિનામાં પાંચમી વખત સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. વડોદરાએ પણ 41.6 ડિગ્રી તાપમાન સાથે 7 વર્ષનો રેકોર્ડ તોડ્યો. રાજ્યના 33 પૈકી 21 જિલ્લામાં હીટવેવના કારણે રાજ્યના 13 શહેરોમાં સામાન્ય કરતાં 5 ડિગ્રીથી વધુ ઊંચુ તાપમાન રહેવાના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. સામાન્ય રીતે રાજ્યમાં 11 માર્ચે 28.1 થી 35.5 ડિગ્રીની વચ્ચે દિવસનું તાપમાન રહેવું જોઇએ. જેની સામે 9 શહેરોનું તાપમાન 40 ડિગ્રીથી વધુ રહ્યું હતું.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 9:50 am

પાટણ જિલ્લા આયોજન મંડળે ₹1196.18 લાખના કાર્યો મંજૂર કર્યા:વિકાસને ગતિ આપવા કુલ 533 કાર્યને લીલીઝંડી

પાટણ જિલ્લા આયોજન મંડળની તાજેતરમાં યોજાયેલી બેઠકમાં વર્ષ 2026-27 માટે વિવિધ વિકાસ યોજનાઓ અંતર્ગત મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. આ બેઠકમાં જિલ્લાના વિકાસને ગતિ આપવા કુલ રૂ. 1196.18 લાખના 533 કાર્યોને મંજૂરી આપવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વર્ષ 2026-27 માટે જિલ્લામાં કુલ રૂ. 1220.00 લાખની મળવાપાત્ર ગ્રાન્ટ સામે રૂ. 1266.38 લાખનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાંથી રૂ. 1196.18લાખના વિકાસ કાર્યોને મંજૂરી મળી છે. વિભાગવાર વિગતો મુજબ, વિવેકાધીન સામાન્ય જોગવાઈ હેઠળ રૂ. 921.50 લાખની ગ્રાન્ટ સામે રૂ. 964.93 લાખનું આયોજન કરાયું હતું, જેમાંથી રૂ. 915.33 લાખના 433 કાર્યોને મંજૂરી અપાઈ છે. તેવી જ રીતે, વિવેકાધીન ખાસ અંગભૂત યોજના હેઠળ રૂ. 131.00 લાખની ગ્રાન્ટ સામે રૂ. 139.10 લાખનું આયોજન કરીને રૂ. 135.60 લાખના 71 કાર્યોને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત, પ્રોત્સાહક જોગવાઈ હેઠળ રૂ. 22.50 લાખની ગ્રાન્ટ સામે રૂ. 17.50 લાખનું આયોજન કરીને રૂ. 15.00 લાખના 6 કાર્યોને મંજૂરી અપાઈ છે. નગરપાલિકા વિવેકાધીન જોગવાઈ માટે રૂ. 125.00 લાખની ગ્રાન્ટના 18 કામો સામે રૂ. 125.05 લાખનું આયોજન કરીને રૂ.110.25 લાખના 16 કાર્યોને મંજૂરી આપવામાં આવી છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના આયોજન માટે રૂ. 20.00 લાખની ગ્રાન્ટ સામે 7 કાર્યોને મંજૂરી મળી છે. જિલ્લા આયોજન મંડળની આ બેઠકમાં જિલ્લાના વિકાસને વેગ આપવા તેમજ માર્ગ, પાણી, કૃષિ અને અન્ય આધારભૂત સુવિધાઓને મજબૂત બનાવવાના હેતુસર વિવિધ યોજનાઓને પ્રાથમિકતા આપવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પાટણ જિલ્લાના તાલુકાવાર આંકડાકીય આયોજન

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 9:20 am

દહેગામમાં બે ડેરીના વિવાદમાં પશુપાલકો પિસાતા આકરા પાણીએ:મહિલાઓએ ઉત્તમ ડેરીના ચેરમેનની નનામી કાઢી પૂતળા દહન કર્યું, પશુપાલકોએ કલેક્ટર કચેરીએ દૂધ ઢોળી વિરોધ નોંધાવ્યો

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં પશુપાલકો અને ડેરી સંઘો વચ્ચેનો વિવાદ હવે વકર્યો છે. અમદાવાદની ઉત્તમ ડેરી અને ગાંધીનગરની મધુર ડેરી વચ્ચેના કાયદાકીય અને વહીવટી જંગમાં હજારો પશુપાલકોની હાલત કફોડી બની છે. મધુર ડેરી દ્વારા અચાનક જ દહેગામના પશુપાલકોનું દૂધ સ્વીકારવાનું બંધ કરી દેવાના નિર્ણયને પગલે સમગ્ર પંથકમાં રોષ ફાટી નીકળ્યો છે. આ વિવાદના વિરોધમાં દહેગામ તાલુકાના નવા થાંભલીયા ગામે મહિલા દૂધ ઉત્પાદક મંડળીની મહિલાઓએ અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહિલા સહિત ગ્રામજનોએ ઉત્તમ ડેરીના ચેરમેન મોહન ભરવાડની પ્રતીકાત્મક નનામી કાઢી છાજિયા લીધા હતા. જે બાદ પૂતળાનું દહન કરીને રીતસરની અંતિમક્રિયા કરી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. આ ઘટનાને પગલે સહકારી રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. ઉત્તમ ડેરીએ કોર્ટમાંથી સ્ટે મેળવતા મધૂર ડેરીએ દૂધ લેવાની ના પાડી દીધીઆ સમગ્ર વિવાદનું મૂળ દૂધના ભાવ અને ડેરી સંઘોના કાર્યક્ષેત્રમાં રહેલું છે. દહેગામ તાલુકાની અંદાજે 70 જેટલી સક્રિય દૂધ મંડળીઓ અને 35 પેટા કેન્દ્રો દ્વારા દૈનિક 50 હજાર લીટર દૂધ જમા કરવામાં આવે છે. છેલ્લા ચાર મહિનાથી આ દૂધ ગાંધીનગરની મધુર ડેરીમાં જતું હતું, જે દિવાળી પૂર્વે શરૂ કરવામાં આવ્યું હતું. જોકે અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (ઉત્તમ ડેરી) દ્વારા આ મામલે કોર્ટમાંથી સ્ટે મેળવવામાં આવતા મધુર ડેરીએ અચાનક દૂધ લેવાની ના પાડી દીધી હતી. ઉત્તમ ડેરીમાં પ્રતિ ફેટ 20 રૂપિયા ઓછા મળતા હોવાનો આક્ષેપદહેગામના પશુપાલકોનો આક્ષેપ છે કે, ઉત્તમ ડેરીમાં તેમને પ્રતિ ફેટ 20 રૂપિયા જેટલો ઓછો ભાવ મળે છે અને ભાવફેરના નાણાં પણ મળતા નથી, જેના કારણે પ્રતિ લીટર 50થી 60 રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવું પડે છે. પશુપાલકોની કહેવું છે કે, દહેગામ તાલુકો ગાંધીનગર જિલ્લામાં આવતો હોવા છતાં તેમને પરાણે અમદાવાદ સંઘની ઉત્તમ ડેરીમાં દૂધ ભરવા મજબૂર કરવામાં આવે છે જે સંપૂર્ણપણે અન્યાયી છે. રસ્તા પર દૂધ ઢોળીને કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવ્યોગઈકાલે મંગળવારે રાત્રે નહેરુ ચોકડી પર ચક્કાજામ કર્યા બાદ પશુપાલકોના પ્રતિનિધિ મંડળે મધુર ડેરીમાં રજૂઆત કરી હતી. પરંતુ કોર્ટના આદેશનું બહાનું ધરીને ડેરીએ નમતું ન જોખતા મામલો બિચક્યો હતો. આથી રોષે ભરાયેલા પશુપાલકોએ દહેગામ મામલતદાર કચેરી ખાતે રસ્તા પર દૂધ ઢોળીને કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર જિલ્લામાં દૂધ પરિવહન અટકાવી જલદ આંદોલનની ચિમકીપશુપાલક હિત રક્ષક સમિતિએ આક્ષેપ કર્યો છે કે, મોહન ભરવાડના જિદ્દી વલણને કારણે 1 લાખ જેટલા પશુપાલકોના પરિવારની રોજીરોટી સંકટમાં મુકાઈ છે. આંદોલનકારીઓએ ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં દૂધના ભાવ અને કલેક્શનના પ્રશ્નોનો કાયમી અને પોષણક્ષમ ઉકેલ નહીં આવે તો સમગ્ર જિલ્લામાં દૂધનું પરિવહન અટકાવી દેવામાં આવશે અને આગામી સમયમાં જલદ આંદોલન છેડવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 8:39 am

ટ્રમ્પનું નવું 'ટેરિફ વોર': ભારત અને ચીન સહિત 60 દેશો સામે તપાસના આદેશ, વૈશ્વિક બજારમાં ફફડાટ

Donald Trump New Tariff News : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રએ ભારત, ચીન અને યુરોપિયન યુનિયન (EU) સહિત 16 મુખ્ય દેશોની વેપાર નીતિઓ વિરુદ્ધ નવી તપાસ શરૂ કરી છે. ટ્રમ્પ સરકારનું માનવું છે કે આ દેશોની વેપાર પદ્ધતિઓ 'અયોગ્ય' છે. સુપ્રીમ કોર્ટ દ્વારા અગાઉના ટેરિફ રદ કરવામાં આવ્યા બાદ, ટ્રમ્પ હવે નવા કાયદાકીય માર્ગો અપનાવીને ટેક્સ લાદવાની તૈયારી કરી રહ્યા છે. બે મુખ્ય મુદ્દાઓ પર તપાસ: ઉત્પાદન અને મજૂરી અમેરિકન વેપાર પ્રતિનિધિ (USTR) જેમિસન ગ્રીરના જણાવ્યા મુજબ, તપાસ બે સ્તરે કરવામાં આવશે.

ગુજરાત સમાચાર 12 Mar 2026 7:35 am

ગુજરાતમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે લાંબુ વેઈટિંગ લિસ્ટ:ડોનર્સના અભાવે 2322 અમદાવાદી દર્દીઓ ટ્રાન્સપ્લાન્ટની રાહે, વર્લ્ડ કિડની ડે પર ડોક્ટરોની અપીલ-'જીવનશૈલી સુધારો, કિડની બચાવો'

અમદાવાદમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે દર્દીઓની વેઇટિંગ લિસ્ટ ચિંતાજનક રીતે લાંબી થઈ રહી છે. તાજેતરના આંકડા અનુસાર, ગુજરાતમાં કુલ 2587 દર્દીઓ કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહ્યા છે, જેમાંથી અમદાવાદમાં જ 2322 દર્દીઓ સમાવિષ્ટ છે. વર્લ્ડ કિડની ડે નિમિત્તે ડૉક્ટરો દ્વારા આ વધતી સમસ્યા અંગે ચેતવણી આપવામાં આવી છે અને લોકોને પોતાની જીવનશૈલી સુધારવા માટે લોકોને અપીલ કરી છે. ગુજરાતના 2587 દર્દીઓ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે વેઇટિંગ લિસ્ટમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે રાહ જોતા દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. તાજેતરના આંકડા મુજબ ગુજરાતમાં હાલમાં કુલ 2587 દર્દીઓ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે વેઇટિંગ લિસ્ટમાં છે, જેમાંથી માત્ર અમદાવાદમાં જ 2322 દર્દીઓ ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહ્યા છે. આ આંકડા દર્શાવે છે કે કિડનીની જરૂરિયાત ધરાવતા દર્દીઓની સંખ્યા ખૂબ મોટી છે, જ્યારે યોગ્ય ડોનર સમયસર અવેલેબલ હોતા નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં કિડની ફેલ્યોરના કેસોમાં વધારો થતાં ટ્રાન્સપ્લાન્ટ માટે રાહ જોતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. ડૉક્ટર પ્રાંજલ મોદીનું કહેવું છે કે દર્દીઓ વધી રહ્યા છે, પરંતુ કિડની દાતાઓની સંખ્યા તે પ્રમાણે વધી રહી નથી. કિડની ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓમાં પુરુષ-સ્ત્રીની સંખ્યા એકસમાનહાલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ પ્રાપ્ત કરનારા દર્દીઓમાં પુરુષ અને મહિલાઓનું પ્રમાણ લગભગ સમાન એટલે કે 50 ટકા પુરુષ અને 50 ટકા મહિલાઓ છે. ખાસ વાત એ છે કે, ગુજરાતની G-DOT ગાઇડલાઇન મુજબ મહિલાઓને ટ્રાન્સપ્લાન્ટ માટે 2 વધારાના પોઇન્ટ આપવામાં આવે છે. આ નિયમના કારણે છેલ્લા સમયમાં મહિલાઓમાં કિડની ટ્રાન્સપ્લાન્ટના કેસોમાં વધારો જોવા મળ્યો છે અને તેમને ટ્રાન્સપ્લાન્ટ મેળવવાની વધુ તક મળી રહી છે. આ આદતો તમારી કિડની ખરાબ થવા માટે જવાબદારગુજરાતમાં કિડની ફેલ્યોરના વધતા કેસોના મુખ્ય કારણોમાં ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર સૌથી મહત્વના માનવામાં આવે છે. લાંબા સમય સુધી શુગર અને બ્લડ પ્રેશર કાબૂમાં ન રહેતાં કિડની પર ગંભીર અસર પડે છે. ઉપરાંત વધુ મીઠુંવાળો આહાર, બહારનું ખાવાનું, કસરતનો અભાવ, દવાઓનો બેદરકાર ઉપયોગ અને સમયસર હેલ્થ ચેકઅપ ન કરાવવું પણ કિડનીને નુકસાન પહોંચાડે છે. ડૉક્ટરની સલાહ વગર પેઇનકિલર જેવી દવાઓનો વધારે ઉપયોગ ન કરવોવર્લ્ડ કિડની ડે નિમિત્તે ડૉક્ટરો સામાન્ય લોકોને કિડની સ્વસ્થ રાખવા માટે કેટલીક મહત્વની સલાહ આપે છે. તેમાં નિયમિત રીતે બ્લડ પ્રેશર અને બ્લડ શુગર ચેક કરાવવી, પૂરતું પાણી પીવું અને આહારમાં મીઠું ઓછું લેવું મહત્વનું છે. આ સાથે જ ડૉક્ટરની સલાહ વગર ખાસ કરીને પેઇનકિલર જેવી દવાઓનો વધારે ઉપયોગ ન કરવો, નિયમિત કસરત કરવી, વજન કાબૂમાં રાખવું અને સમયસર હેલ્થ ચેકઅપ કરાવવું પણ એટલું જ જરૂરી છે. ડૉ. પ્રાંજલ મોદીનું કહેવું છે કે, સમયસર તપાસ અને યોગ્ય જીવનશૈલી અપનાવવાથી કિડની સંબંધિત ઘણી ગંભીર સમસ્યાઓથી બચી શકાય છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 7:00 am

યુદ્ધની આર્થિક અસર:યુદ્ધના કારણે કંડલા,મુન્દ્રા બંદરે ઈરાન જતો 345 કરોડનો માલ અટવાયો

મધ્ય-પૂર્વ (પશ્ચિમ એશિયા)માં વકરી રહેલા યુદ્ધની સીધી આર્થિક અસર હવે કચ્છના બે સૌથી મોટા બંદરો કંડલા અને મુન્દ્રા પર જોવા મળી રહી છે. અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા સંયુક્ત હુમલાઓને કારણે આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટ ગંભીર રીતે ખોરવાયા છે. જેના પરિણામે કંડલા અને મુન્દ્રા બંદરેથી ઈરાન નિકાસ થવા માટે તૈયાર આશરે 345 કરોડનો માલ અટવાઈ પડ્યો છે. આ પરિસ્થિતિએ સ્થાનિક નિકાસકારો અને લોજિસ્ટિક્સ ઉદ્યોગમાં ભારે ચિંતા જગાવી છે. વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જિતિન પ્રસાદે મંગળવારે લોકસભામાં એક લેખિત જવાબમાં આ ગંભીર સ્થિતિનો ચિતાર આપ્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, દીનદયાલ પોર્ટ (કંડલા) પર 1લી માર્ચ સુધીના આંકડા મુજબ, અહીં 35,962 ટન ચોખા, ચા અને જીવનરક્ષક દવાઓનો જથ્થો અટવાયેલો છે. આ માલનું ‘ફ્રી ઓન બોર્ડ’ મૂલ્ય ₹305.67 કરોડ જેટલું માતબર છે. તો દેશના સૌથી મોટા ખાનગી બંદર મુન્દ્રા ખાતે પણ ઈરાન મોકલવા માટે તૈયાર રખાયેલો 5,676 ટન (જેની કિંમત ₹40.72 કરોડ છે) કાર્ગો જહાજોની રાહ જોઈ રહ્યો છે. ભારત અને ઈરાન વચ્ચેનો વેપાર મુખ્યત્વે અનાજ અને દવાઓ પર છે નિર્ભરભારત અને ઈરાન વચ્ચેનો વેપાર મુખ્યત્વે અનાજ અને દવાઓ પર નિર્ભર છે. ખાસ કરીને, ઈરાન ભારતીય બાસમતી ચોખાના સૌથી મોટા અને મહત્વના ખરીદદારોમાંનું એક છે. પરંતુ વર્તમાન ભૌગોલિક-રાજકીય તણાવને કારણે સપ્લાય ચેઈન તૂટી ગઈ છે. માલ પડી રહેવાથી વર્કિંગ કેપિટલ બ્લોક થઈજ્યાં સુધી પશ્ચિમ એશિયાના દરિયાઈ માર્ગો પર સુરક્ષા વ્યવસ્થા પૂર્વવત નહીં થાય અને શિપિંગ કંપનીઓ પોતાનું ઓપરેશન રાબેતા મુજબ નહીં કરે, ત્યાં સુધી ગુજરાતના બંદરોથી થતો આ વેપાર ખોરવાયેલો રહેશે. માલ ગોડાઉનમાં પડી રહેવાથી નિકાસકારોની વર્કિંગ કેપિટલ બ્લોક થઈ ગઈ છે, જેને કારણે સરકાર પાસે રાહતની અપેક્ષા રખાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 6:35 am

AI કંપની OpenAI અને CEO સેમ ઓલ્ટમેન્ટ:નવી પેઢી માટે કારકિર્દીની દિશા બદલનાર કંપની અને નવો રોલ મોડેલ

હોલિવૂડમાં ક્રિસ્ટોફર નોલન વિજ્ઞાન આધારિત કાલ્પનિક કથાનક પર ફિલ્મ બનાવવા મેદાનમાં આવ્યા એ પહેલા 1968માં સ્ટેન્લી ક્રુબ્રિક નામના દિગ્ગજ સર્જક, દંતકથા સમાન લેખક, આર્થર સી. ક્લાર્કની વાર્તા પરથી 2001-અ સ્પેસ ઓડિસી નામની ફિલ્મ બનાવી ચુક્યા છે. જે આજે પણ એ સમયની સમયથી આગળ, કલ્ટ, ક્લાસિક ફિલ્મની કેટેગરીમાં આવે છે. કલ્પના હકીકત બની ગઇએ ફિલ્મનો ઉઘાડ થાય છે એક અત્યંત મૌલિક દ્રશ્યથી. જેમાં એક વાનર જેવો દેખાતો આદિમાનવ હવામાં એક હાડકાનું બનેલું હથિયાર ઉડાવે છે અને એ હાડકું સ્પેસ રોકેટ બની જાય છે! મુગ્ધાવસ્થામાં જોયેલી ફિલ્મનું આ દ્રશ્ય આજે પણ એટલું જ વિસ્મય પમાડે છે. જ્યારે એ ફિલ્મમાં દર્શાવેલી એક સંકલ્પના નામે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ હવે હકીકત બની ગઇ છે! તાજેતરમાં ભારતમાં AI સમિટ યોજાઇ ગઇ અને વિશ્વમાંથી AI ટેક્નોલોજીમાં મહત્વનું પ્રદાન કરનાર, કંપની સ્થાપનાર દિગ્ગજો આવીને ગયા. એમાં સૌથી વધુ જાણીતું નામ હતું ઓપન એઆઇ કંપનીના સીઇઓ સેમ ઓલ્ટમેન્ટનું! AIને લોકપ્રિય બનાવવાનો શ્રેય સેમ ઓલ્ટમેનને જાય છેઓપન એઆઇ કંપની એ ChatGPT જે એક ચેટ આધારિત AI સહાયક છે તેને માર્કેટમાં લાવીને AI પ્રોડ્કટને લોકભોગ્ય અને લોકપ્રિય બનાવવાનું શ્રેય ઘણું બધું સેમ ઓલ્ટમેનને જાય છે અને અત્યારે AI એટલે ઓપન આઇએ એકબીજાના સમાનાર્થી શબ્દો બની ગયા છે. જ્યારે ગૂગલના જેમિની, એન્થ્રોપિક નામની સ્ટાર્ટ અપનું કલોઉડ આઇ, ઇલોન મસ્કની કંપની xAI નું ગ્રોક વગેરે માર્કેટમાં આવી ગયા પછી પણ! 2015માં OpenAI ની સ્થાપનાસેમ ઓલ્ટમેન, જીનિયસ એલોન મસ્ક અને અન્ય ટેક લીડર્સ દ્વારા 2015માં OpenAI ની સ્થાપના થઇ હતી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માનવજાત માટે સુરક્ષિત અને ફાયદાકારક રીતે વિકસિત થાય એવા હેતુથી શરુ થયેલી આ કંપની તેના હરીફો અને દર મિનિટે બીજા ઉમેરાતા AI સંબંધિત સ્ટાર્ટઅપ હરીફોના હાથમાં હવે ફક્ત વિશ્વનું જોબ માર્કેટ, જે તે દેશની ઇકોનોમી, રાજકારણ જ નહીં પણ માનવીનું ભવિષ્ય પણ છે! હાલ Generative AI ક્ષેત્રમાં આગેવાન OpenAI ની વાત કરીએ તો, જેવી AI પ્રોડક્ટ્સ દ્વારા કંપની શિક્ષણ, આરોગ્ય, સોફ્ટવેર ડેવલપમેન્ટ, રિસર્ચ અને અનેક ઉદ્યોગોમાં ઉપયોગી સાબિત થઇ રહી છે અને AIને માનવ કલ્યાણ માટે ઉપયોગી બનાવવા માટે સતત પ્રયત્નશીલ OpenAI અને Sam Altman આજના સમયમાં ટેકનોલોજી વિશ્વના મહત્વપૂર્ણ નામ બની ગયા છે. AI ટેકનોલોજીનું લોકતંત્રિકરણ (Democratization of AI), શિક્ષણ અને સંશોધન ક્ષેત્રમાં નવી તકો, AI સલામતી અને જવાબદારી પર ભાર અને વૈશ્વિક સ્તરે ટેકનોલોજીના વપરાશ પર નિયમો અને કાયદાઓ પર સતત ચર્ચા કરતા રહેતા OpenAI ના સેમ ઓલ્ટમેન્ટ માને છે કે, AI માનવ જીવનને વધુ સારું બનાવી શકે પરંતુ સાથે સાથે તેની સુરક્ષા અને નૈતિકતા પર પણ ભાર મૂકવો જરૂરી છે. સેમ ઓલ્ટમેન નવી પેઢીના રોલ મોડેલઅદ્યતન ભાષા મોડલ ટેકનોલોજી (એલ એલ એમ), વિશાળ યુઝર બેઝ, Microsoft જેવી મજબૂત કંપનીની ભાગીદારી અને રિસર્ચમાં જંગી રોકાણ કરનાર OpenAI અત્યારે દરેક કમ્પ્યુટર ક્ષેત્રમાં કામ કરનાર માટે ડ્રિમ કંપની બની ચૂકી છે અને સેમ ઓલ્ટમેન નવી પેઢીના રોલ મોડેલ! પણ તોતિંગ કોમ્પ્યુટિંગ ખર્ચ, ડેટા પ્રાઇવસી જેવા મુદ્દા અને ગૂગલ, મેટા, એન્થ્રોપિક, માઇક્રોસોફ્ટ ઉપરાંત બીજી દર મિનિટે બજારમાં આવતી AI સ્ટાર્ટ અપ સાથેની હરિફાઇ સામે OpenAI હાલ Generative AI ક્ષેત્રમાં આગેવાન છે પરંતુ સ્પર્ધા ખૂબ જ તીવ્ર છે. અને કંપનીનું ભવિષ્ય આવનાર વર્ષોમાં AI માર્કેટનું વલણ, સતત કંઇ નવું આપવાનો પ્રયત્ન અને AI સલામતી આધારિત જે તે દેશના કાયદા અને રેગ્યુલેશન્સ પર નિર્ભર કરે છે અને આ વાત દરેક AI કંપનીને લાગુ પડશે! કંપની અને સરકારની જવાબદારી વધે છેAI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક એવી ટેકનોલોજી છે જે હેન્ડલ વિથ કેરના લેબલ સાથે આવે છે. કારણ કે, દર સેકન્ડે મજબૂત રહેલી આ ટેક્નોલોજી, બેરોજગારી, સાચી ખોટી માહિતીનો ધોધ અને એનું નિયમન, ડેટા સુરક્ષા અને વિશ્વાસ, નૈતિક જવાબદારી જેવા વિશાળ પ્રશ્નો લઇને પણ આવે છે. જે OpenAI જેવી AI કંપનીઝ અને સરકારની જવાબદારી વધારી દે છે. 1950માં AI ની સંકલ્પના આપનાર બ્રિટિશ ગણિતજ્ઞ એલાન ટુરિંગ એને વાસ્તવિકતામાં બદલવામાં મહત્વનો ભાગ ભજવનાર જ્હોન મેકાર્થી, માર્વિન મિન્સકી, એલન નેવેલ, હર્બર્ટ સિમોન અને આર્થર સેમ્યુલએ ક્યારેય વિચાર્યું નહીં હોય કે એમણે જે સર્જવામાં પાયાનો ભાગ ભજવ્યો એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી મનુષ્યને આ ટેક્નોલોજીના વપરાશ માટે પોતાની ઇન્ટેલિજન્સ વાપરવા અને નહી તો એના માઠા પરિણામો ભોગવવા મજબૂર કરશે! AI ના પિતામહની ગંભીર ચેતવણી2024માં ભૌતિક શાસ્ત્રમાં નોબેલ પારિતોષિક મેળવનાર AI ના પિતામહ એવા જ્યોફ્રી હિન્ટને ઇનામ મેળવતી વખતે ગંભીર ચેતવણી આપી કે, AI હવે એવી દિશામાં વધી રહી છે કે તે માનવ બુદ્ધિ કરતાં વધારે હોઇ શકે છે અને ત્યારે તેનું નિયંત્રણ આપણા હાથમાંથી બહાર થઇ શકે છે માટે જ AI સલામતી (AI Safety) પર વધુ ધ્યાન આપવું જોઇએ નહીં તો ઘણા જોખમો માનવ જાતના અસ્તિત્વના પ્રશ્ન સુધી પહોંચી શકે છે! અણુબોમ્બ, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ અને હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ટેકનોલોજી વિશ્વ અને એમાં વસતી માનવ સહિતની જીવ સૃષ્ટિ માટે આશીર્વાદ નીવડશે કે એનું અસ્તિત્વ જ ના રહે એ દિશામાં લઇ જશે એ વાત વૈજ્ઞાનિક ડાર્વિનની થીયરી મુજબ વાનરમાંથી કાળક્રમે અસ્તિત્વમાં આવેલા આજના મનુષ્યની ઇન્ટેલિજન્સ પર આધાર રાખે છે!

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 6:35 am

મુસાફરો અને વિદ્યાર્થીઓ અટવાયા:સ્ટાફઘટનું કારણ આપી ભુજ-નારાયણ સરોવર ઇન્ટરસિટી બસ ચાર દિવસથી બંધ

કચ્છના તીર્થધામ નારાયણ સરોવરને જોડતી મહત્વની ગણાતી ભુજ-નારાયણ સરોવર ઇન્ટરસિટી બસ છેલ્લા ચાર દિવસથી અચાનક બંધ કરી દેવામાં આવતા લખપત તાલુકાના ગ્રામીણ મુસાફરો, યાત્રિકો અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બોર્ડની પરીક્ષા આપી પરત ફરતી વિદ્યાર્થીનીઓને આડેધડ બસ સેવા બંધ થવાને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, બપોરે 3:00 કલાકે ભુજથી ઉપડીને રાત્રે 8:00 વાગ્યે નારાયણ સરોવર પહોંચતી ઇન્ટરસિટી બસ ચાર દિવસથી બંધ છે. અગાઉ બપોરે 1:30 થી 2:00 વાગ્યાના ગાળામાં ત્રણ એક્સપ્રેસ બસો ઉપલબ્ધ છે, પરંતુ ત્યારબાદ સીધી 3:00 વાગ્યાની આ મહત્વની ઇન્ટરસિટી બસ હતી. હવે આ બસ બંધ થતા મુસાફરોએ છેક સાંજે 6:00 વાગ્યા સુધી એસટીની રાહ જોવી પડે છે. આ બસ બીજા દિવસે વહેલી સવારે 6:00 કલાકે નારાયણ સરોવરથી રવાના થઈ સવારે 10:00 વાગ્યે ભુજ પહોંચતી હતી, જે અપડાઉન કરતા નોકરિયાતો અને વેપારીઓ માટે આશીર્વાદરૂપ હતી. સારી આવક આપતી અને છેવાડાના ગામોને જોડતી આ બસ સેવા એસટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જો આ બસ ચાલુ નહીં થાય તો આગામી દિવસોમાં સ્થાનિકો દ્વારા રજૂઆતના કાર્યક્રમો પણ ઘડવામાં આવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં અવાર નવાર એસટી બસ ખોટવાઇ જાય છે ખાસ કરીને મુન્દ્રા, ગાંધીધામ રૂટમાં લોકલ બસોની અછત છે રાતના પણ બસો મળતી નથી. એસટી જીવાદોરી છે ત્યારે રૂટ સંચાલન યોગ્ય રીતે કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. બોર્ડની પરીક્ષા આપતા છાત્રોની કફોડી સ્થિતિહાલમાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. નારાયણ સરોવર વિસ્તારના વિદ્યાર્થીઓ દયાપર કેન્દ્ર ખાતે પરીક્ષા આપવા જાય છે. નારાયણ સરોવરના ઇસ્માઈલ કુંભારે જણાવ્યું હતું કે, તેમની દીકરી દયાપર પરીક્ષા આપવા જાય છે. સાંજે 6:00 વાગ્યે પેપર પૂરું થયા બાદ આ ઇન્ટરસિટી બસ 6:30 વાગ્યે દયાપર આવી જતી અને રાત્રે 8:00 વાગ્યા સુધી દીકરીઓ સુરક્ષિત ઘરે પહોંચી જતી હતી. હવે બસ બંધ થતા વિદ્યાર્થીઓએ વાયા વર્માનગર સુધી લિફ્ટ માંગીને આવવું પડે છે અને ત્યાંથી વાલીઓએ તેમને તેડવા જવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. શું કહે છે ડેપો મેનેજર?આ અંગે નખત્રાણા ડેપો મેનેજર નરેશ પુરી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, હાલમાં સ્ટાફની અછત હોવાને કારણે આ રૂટ કામચલાઉ ધોરણે બંધ કરવો પડ્યો છે. જોકે, તીર્થધામની આ મહત્વની બસ હોવાથી તેને વહેલી તકે પુનઃ શરૂ કરી દેવામાં આવશે તેવી ખાતરી તેમણે આપી હતી.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 6:26 am

ASPને રજૂઆત કરાઇ:મુન્દ્રા પંથકમાં કાયદો વ્યવસ્થાની અવગણના સાથે હપ્તાખોરીનો આક્ષેપ

મુન્દ્રા પંથકમાં કાયદો વ્યવસ્થા કથળી હોવા સાથે વિવિધ અસામાજિક પ્રવૃતિઓમાં હપ્તાખોરી પરાકાષ્ઠાએ પહોંચી હોવાના આક્ષેપ સાથેનું આવેદનપત્ર આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા તળે સ્થાનિક ASP કચેરીમાં અપાયું હતું. એએસપી ગૌતમ વિવેકાનંદનને રૂબરુ કરાયેલી રજૂઆતમાં મુન્દ્રા પંથકમાં કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડી રહ્યા હોવાનો આક્ષેપ કરી તમામ ગેરકાયદેસર ધંધાઓને હપ્તાખોરી સાથે ખુલ્લેઆમ છુટ અપાઈ હોવાની લાગણી વ્યક્ત કરાઈ હતી. સિટી પીઆઈનો નામજોગ ઉલ્લેખ કરી પોલીસ સ્ટેશનની આસપાસ દેશી દારૂના અડ્ડા ધમધમતા હોવા ઉપરાંત વિવિધ સ્થળના અનેક વિડીયો વાઇરલ થયા, રેલીઓ નીકળી હોવા છતાં જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરાઈ ન હોવાનું જણાવાયું હતું. ગાંજા જેવા માદક પદાર્થોનું છૂટ વેંચાણ, રેતી અને ખનીજનું ગેરકાયદેસર ખનન કરી ચોરી, આંકડાનો ધંધો, સ્પાના નામે દેહ વેપાર તેમજ પરિવહનકારો અને સ્ક્રેપના ધંધાર્થીઓ સહિત તમામ અસામાજિક ગતિવિધિઓને હપ્તા વસૂલી લીલી ઝંડી અપાઈ હોવાનો આક્ષેપ કરી પીઆઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની માંગ કરાઇ હતી. તમામ ગોરખધંધા પર બે દિવસમાં રોક લગાવવામાં ન આવે તો જનતા રેડની ચીમકી ઉચ્ચારાઈ હતી.આવેદન આપતી વેળાએ ગજેન્દ્રસિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજા ઉપરાંત ટ્રસ્ટના અન્ય સભ્યો જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 6:25 am

સત્તાનો દુરુપયોગ કરનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી:શેરડી ગ્રા. પં.માં 85 મિલકતોના નોંધણી કેસમાં તલાટીને ‘ફરજિયાત નિવૃત્ત’ કરાયા

કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના શેરડી જૂથ ગ્રામ પંચાયતમાં વર્ષોથી ચાલી રહેલા મિલકત નોંધણીના મોટા કૌભાંડનો આખરે પર્દાફાશ થયો હતો. પંચાયત રેકોર્ડમાં કોઈ પણ જાતના સત્તાવાર ઠરાવ કે મંજૂરી વગર 85 જેટલી મિલકતોની ગેરકાયદે એન્ટ્રી પાડવાના ગંભીર આરોપમાં તત્કાલીન તલાટી કમ મંત્રી બી.એસ. ચૌહાણ (હાલ આમારા-નખત્રાણા) ને કાયમી ધોરણે ‘ફરજિયાત નિવૃત્ત’ કરવાનો આદેશ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણની તપાસ શેરડી ગ્રામ પંચાયતના સરપંચની ડિસેમ્બર 2023ની ફરિયાદ બાદ શરૂ થઈ હતી. તપાસમાં બહાર આવ્યું કે વર્ષ 2008-09ના આકારણી રજિસ્ટરના પાના નંબર 95 થી 98 પર કોઈ પણ પ્રકારના ઠરાવ કે કાયદેસરની પ્રક્રિયા અનુસર્યા વિના 85 મિલકતોની નોંધણી કરી દેવામાં આવી હતી. તલાટીએ પોતાના બચાવમાં દલીલ કરી હતી કે સરપંચ અને સભ્યોની મૌખિક સહમતીથી પંચાયતની આર્થિક સદ્ધરતા માટે આ કામગીરી કરી હતી. જોકે, તપાસ અધિકારીઓએ આ ખુલાસો અસ્વીકાર્ય ગણાવ્યો હતો, કારણ કે સરકારી નિયમ મુજબ સક્ષમ અધિકારીની મંજૂરી વગર આવી નોંધણી કરી શકાય નહીં. દસ્તાવેજો મુજબ, બી.એસ. ચૌહાણ અગાઉ રાપર તાલુકામાં ફરજ દરમિયાન પણ હિસાબ સંબંધિત બેદરકારી બદલ શિસ્તભંગની કાર્યવાહીનો સામનો કરી ચૂક્યા છે. શેરડી પંચાયતના કિસ્સામાં, તેમણે પંચાયતના નિયમોનું સદંતર ઉલ્લંઘન કર્યું હોવાનું સાબિત થયું હતું. ગુજરાત પંચાયત સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, 1997 હેઠળ ખાતાકીય તપાસ બાદ, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો. મંડળની સહમતી બાદ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસૂલ) દ્વારા બી.એસ. ચૌહાણને ‘ફરજિયાત નિવૃત્તિ’ ની શિક્ષા કરવાનો આખરી હુકમ 5 માર્ચ 2025ના કરવામાં આવ્યો છે. આ સાથે જ ગેરકાયદે નોંધાયેલી તમામ 85 મિલકતોને પંચાયત રેકોર્ડમાંથી કમી કરવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 6:16 am

અદાલતની કડક કાર્યવાહી:માંડવીના શેરડી ગામની જમીન મુદે ગણોતધારાના ભંગ બદલ 2 કરોડનો દંડ

માંડવી તાલુકાના શેરડી ગામની સીમમાં આવેલી કરોડોની કિંમતની ખેતીની જમીન અંગે ચાલી રહેલા ગણોત કેસમાં મામલતદાર અને એગ્રીકલ્ચર લેન્ડ ટ્રિબ્યુનલે મહત્વનો હુકમ કર્યો છે. મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમની કલમ-84 (સી) તથા 122 હેઠળના ભંગ બદલ કાંતિલાલ પ્રેમજી શાહ અને અનીલકુમાર પ્રેમજી શાહ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. કોર્ટે આ જમીનની તબદીલી અમાન્ય રાખી છે અને સામાવાળા પક્ષને રૂ. 2,01,04,560 નો દંડ ફટકારી જમીન બોજામુક્ત કરી સરકાર હસ્તક લેવાનો નિર્ણય સંભળાવ્યો છે. શેરડીના સર્વે નંબર-814 (જૂના સર્વે નંબર-215) ની 5-98-35 હેક્ટર જમીન સાથે જોડાયેલો છે. મામલતદાર કોર્ટે નોંધ્યું છે કે, સામાવાળા કાંતિલાલ પ્રેમજી શાહ અને અનીલકુમાર પ્રેમજી શાહને પૂરતી તક આપવા છતાં તેઓ પોતે મૂળથી ‘જન્મજાત ખેડૂત ખાતેદાર’ હોવાનું પુરવાર કરી શક્યા નથી. રેકોર્ડ પર રજૂ થયેલા પુરાવાઓ મુજબ, આ જમીનની તબદીલી ગણોત ધારાની કલમ-૬૩ ના ભંગ સમાન જણાઈ હતી. કલેક્ટર કચેરીના અગાઉના હુકમો અને તપાસના તારણોને આધારે મામલતદારે સ્પષ્ટ કર્યું કે સામાવાળા પક્ષે ગણોત ધારાની જોગવાઈઓનું પાલન કર્યું નથી. કોર્ટે જમીનની વર્તમાન જંત્રી કિંમત રૂ. 67.01 લાખને ધ્યાને લઈ, તેના ત્રણ ગણી રકમ એટલે કે રૂ. 2.01 કરોડ દંડ તરીકે વસૂલ કરવાનો હુકમ કર્યો છે. ગણોત ધારાની કલમ-84 (સી) મુજબ જમીનની તબદીલી અમાન્ય ઠેરવવામાં આવી છે. સામાવાળાના નામે થયેલી વાદગ્રસ્ત નોંધો (નંબર-784 અને 1109) રદ કરી જમીન રેકોર્ડમાંથી તેમના નામ દૂર કરવા આદેશ અપાયો છે.આ જમીન તમામ પ્રકારના બોજાઓમાંથી મુક્ત કરી રાજ્ય સરકારને પ્રાપ્ત થયેલી ગણવા અને સરકારી હસ્તક લેવા હુકમ કરાયો છે. આ હુકમથી નારાજ પક્ષકારો ૩૦ દિવસની મર્યાદામાં નાયબ કલેક્ટર, મુન્દ્રા સમક્ષ અપીલ કરી શકે છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 6:15 am

નિવૃત કર્મચારીએ પાલિકાને ચીંધ્યો નવો માર્ગ:ભુજના નાળા પરની 180 જર્જરિત દુકાનો હટાવવા સીઓને રજૂઆત

ભુજ શહેરની મધ્યમાં પાણીના નાળા પર દાયકાઓથી બનેલી 180 જેટલી જર્જરિત દુકાનો જોખમી બની છે. સુપ્રીમ કોર્ટના નિયમો મુજબ આ દુકાનોને કાયમી ધોરણે હટાવવા માટે નિવૃત સરકારી કર્મચારી કે.વી. ભાવસાર દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર ટ્વિંકલ પટેલને વિગતો સાથે રજૂઆત કરવામાં આવી છે. અગાઉ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાસે કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવાનું આયોજન સુપ્રીમ કોર્ટના ચુકાદાને કારણે અટકી પડ્યું હતું. આ સ્થિતિમાં ભાવસાર દ્વારા સૂચવવામાં આવ્યું છે કે, નવા બસ સ્ટેન્ડ પાછળ રામદેવપીર મંદિર પાસેની વિશાળ ખાલી જગ્યાનો ઉપયોગ કરવો જોઈએ. હાલ અહીં કોઈપણ મંજૂરી વગર કેબિનો અને ગેરકાયદે બાંધકામો ખડકાઈ ગયા છે. જો પાલિકા આ દબાણો દૂર કરી ગ્રાઉન્ડ પ્લસ ફર્સ્ટ ફ્લોરનું 200 દુકાનોનું કોમ્પ્લેક્સ બનાવે, તો નાળા પરના 180 વેપારીઓને અહીં સરળતાથી શિફ્ટ કરી શકાય તેમ છે. આ સૂચિત જગ્યા બસ સ્ટેન્ડ અને શાક માર્કેટની નજીક હોવાથી વેપારીઓના ધંધાને કોઈ નુકસાન નહીં થાય. સાથે જ, કોમ્પ્લેક્સમાં ટુ-વ્હીલર પાર્કિંગ માટે ખાસ વ્યવસ્થા કરી પાલિકા ગ્રાહકો પાસેથી નજીવું ભાડું વસૂલી કાયમી આવક ઊભી કરી શકે છે. કલેક્ટર કચેરી દ્વારા પણ 23/07/2024ના રોજ આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા નગરપાલિકાને આદેશ અપાયા હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. હવે જો પાલિકા પ્લાન-એસ્ટીમેટ તૈયાર કરી સરકારની પૂર્વ મંજૂરી લે, તો શહેરના ટ્રાફિક અને જર્જરિત બાંધકામની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 6:11 am

આરોગ્ય સેવાઓને સુદૃઢ બનાવવા બેઠક યોજાઈ:‘જનારોગ્ય’ સેવાઓ મજબૂત બનાવવા કલેક્ટરે યોજી આરોગ્ય સમિતિની બેઠક

કચ્છ જિલ્લામાં આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવા જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ તથા ટોબેકો કંટ્રોલ સ્ટીયરીંગ કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લામાં ચાલી રહેલી વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ અને કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે બાળ અને માતા મરણના કારણો, સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં થતી પ્રસૂતિઓની સંખ્યા, રસીકરણ કાર્યક્રમ, સંચારી અને બિન-સંચારી રોગો, મેલેરીયા અને ડેન્ગ્યુ જેવી બીમારીઓ સામે લેવાતા અટકાયતી પગલાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. ઉપરાંત સબ સેન્ટર, પી.એચ.સી., સી.એચ.સી. અને એસ.ડી.એચ.માં નિયમિત સ્વચ્છતા જાળવવા તેમજ આરોગ્ય સેવાઓને વધુ અસરકારક બનાવવા સૂચના આપી હતી. બેઠકમાં નેશનલ બ્લાઈન્ડ કંટ્રોલ પ્રોગ્રામ, એચપીવી રસીકરણ, નમોશ્રી યોજના, કુટુંબ નિયોજન, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, ટીબી મુક્ત ભારત અભિયાન, એચઆઈવી નિયંત્રણ, પીએમજેએવાય અને બ્લડ સ્ટોરેજ જેવી વિવિધ આરોગ્ય સેવાઓની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે બાળકોની આરોગ્ય તપાસણીમાં ચશ્માની જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને સમયસર ચશ્મા ઉપલબ્ધ થાય તે માટે યોગ્ય આયોજન કરવાની સૂચના આપી હતી. ટોબેકો કંટ્રોલ સ્ટીયરીંગ કમિટીની બેઠકમાં જાહેર સ્થળોએ ધૂમ્રપાન પર પ્રતિબંધ તેમજ શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ 100 મીટરના વિસ્તારમાં તમાકુના વેચાણ પર પ્રતિબંધ અંગે થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેષ ભંડેરી તેમજ વિવિધ આરોગ્ય સંસ્થાઓના અધિકારીઓ અને સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 6:10 am

વેધર રિપોર્ટ:કચ્છમાં આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ, બે દિવસ સુધી રાહત નહિ

કચ્છ જિલ્લામાં આ વર્ષે ઉનાળાએ જાણે માર્ચ માસના પ્રારંભથી જ દસ્તક આપી દીધી હોય તેમ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. છેલ્લા ચારેક દિવસથી તાપમાનમાં સતત થઈ રહેલા વધારા અને હવામાં ભેજનું પ્રમાણ ઘટવાને કારણે સમગ્ર જિલ્લામાં ગરમીનું મોજું ફરી વળ્યું છે. બુધવારે ભુજ 39.4 ડિગ્રી સેલ્સિયસ, કંડલા પોર્ટ: 39.0 ડિગ્રી સેલ્સિયસ અને નલિયામાં 36.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું. બપોરના સમયે આકરા તડકા અને લૂ ને કારણે માર્ગો પર લોકો પસીને રેબજેબ થઇ રહ્યા છે. હવામાન વિભાગે આજે કચ્છ જિલ્લા માટે ગરમીનું ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કર્યું છે. આ ઉપરાંત 13 અને 14 માર્ચના રોજ પણ યેલો એલર્ટની સ્થિતિ યથાવત રહેશે. જોકે, રાહતની વાત એ છે કે 14 માર્ચ બાદ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે, જેનાથી લોકોને આંશિક રાહત મળશે. પરંતુ નિષ્ણાતોના મતે આ વર્ષે સમગ્ર ઉનાળો કચ્છ માટે ભારે રહેવાની શક્યતા છે. ગરમીના કારણે બપોરના સમયે લોકો બિનજરૂરી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, જેના કારણે બજારોમાં પણ પાંખી હાજરી જોવા મળી રહી છે. બુધવારે કચ્છના વિવિધ શહેરોમાં તાપમાનનો પારો મંગળવારની તુલનાએ થોડો ઘટ્યો હતો. બુધવારે કંડલા એરપોર્ટ 39.7 ડિગ્રી તાપમાન સાથે જિલ્લાનું સૌથી ગરમ મથક રહ્યું હતું. અન્ય શહેરોની વાત કરીએ તો ભુજ 39.4 ડિગ્રી સેલ્સિયસ, કંડલા પોર્ટ: 39.0 ડિગ્રી સેલ્સિયસ અને નલિયામાં 36.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 6:07 am

માંગ:ભુજ-ખાવડા 73 કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગને ફોર-લેનમાં તબદીલ કરો

કચ્છના પ્રવાસન અને ઔદ્યોગિક વિકાસ વચ્ચે માર્ગોની સુવિધા ટૂંકી પડી રહી હોય તેમ જણાય છે. અંજારના ભીમાસરથી ધર્મશાળા સુધીના 162 કિલોમીટર લાંબા નેશનલ હાઈવે 341 પર ખાસ કરીને ભુજ એરપોર્ટથી ખાવડા સુધીના 73 કિલોમીટરના પટ્ટાને ચાર માર્ગીય બનાવવાની માંગ ઉઠી છે. લખપત થી ખાવડા થઈ ધોળાવીરા અને સાંતલપુર સુધીના સિંગલપટ્ટી રોડને ટુ લેન બનાવવા 1225 કરોડની જાહેરાત કરવામાં આવી છે ત્યારે સ્થાનિકો અને પ્રવાસીઓ દ્વારા ભુજ-ખાવડા રોડ મુદ્દે સોશિયલ મીડિયા મારફતે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી સુધી રજૂઆતો પહોંચાડવામાં આવી છે. ભુજ-ખાવડા માર્ગ અત્યારે દ્વિ-માર્ગીય છે, પરંતુ આ રસ્તા પર ટ્રાફિકનું ભારણ ક્ષમતા કરતા વધી ગયું છે. ખાવડા વિસ્તારમાં આવેલા વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્ક, નમક ઉદ્યોગ અને ખનીજ વહન કરતા ઓવરલોડ ભારે વાહનો આ માર્ગ પર સતત દોડતા રહે છે. ભીરંડીયારા પાસે ટોલનાકું હોવા છતાં રસ્તાની હાલત અત્યંત બિસ્માર હોવાની ફરિયાદ ઉઠી છે. ઓવરલોડ પરિવહનને કારણે રસ્તા પર ઠેર-ઠેર ખાડા પડી ગયા છે. લોકોનો પ્રશ્ન છે કે જો તગડો ટોલ ટેક્સ વસૂલવામાં આવતો હોય, તો સુવિધા અને સુરક્ષા કેમ નથી? પ્રવાસીઓ અને સ્થાનિકોનું કહેવું છે કે રસ્તો પહોળો ન હોવાથી સામેથી આવતા ભારે વાહનોને કારણે અકસ્માતનું જોખમ રહે છે. સફેદ રણ અને ધોળાવીરા જતા પ્રવાસીઓ માટે આ મુખ્ય માર્ગ છે. જો આ રસ્તાને ચાર માર્ગીય બનાવવામાં આવે તો અકસ્માતોના પ્રમાણમાં ઘટાડો થઈ શકે, તાજેતરમાં જ્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા ઘડુલી-સાંતલપુર રસ્તા અંગે જાહેરાતો કરાઈ ત્યારે જાગૃત નાગરિકો અને પ્રવાસીઓએ સોશિયલ મીડિયા દ્વારા ભુજ-ખાવડા હાઈવેને પણ પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 6:07 am

કોમર્શિયલ ગેસનો કકળાટ:રાજકોટથી ગેસ સપ્લાય બંધ, હોટલો મુશ્કેલીમાં

ઈરાન અને ઇઝરાયલ-અમેરિકા યુદ્ધની અસર હવે કચ્છના રેસ્ટોરન્ટ ઉદ્યોગ સુધી પહોંચી છે. ગ્લોબલ કટોકટીની લોકલ અસર રૂપે કચ્છ જિલ્લામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાવવાની શરૂઆત થઈ છે. રાજકોટ ડેપો, જ્યાંથી સમગ્ર કચ્છમાં કોમર્શિયલ સિલિન્ડરનો મોટો જથ્થો આવતો હતો, ત્યાંથી સપ્લાય બંધ કરી દેવાયો છે. હાલ રેસ્ટોરેન્ટ ઉદ્યોગને જરૂરિયાત સામે માત્ર 50 ટકા જથ્થો મળી રહ્યો છે. હાલની સ્થિતિ મુજબ આ સંચાલકોને તેમની રોજિંદી જરૂરિયાત સામે સરકાર અને એજન્સીઓ દ્વારા માત્ર 50% જેટલો જ જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે. કેટરર્સ દ્વારા ઘરેલુ ગેસનો જ વપરાશ : તંત્ર કરશે ચેકિંગએક તરફ જિલ્લા વહીવટી તંત્ર ઘરેલુ ગેસનો પૂરતો જથ્થો હોવાના દાવા કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ કેટરિંગના વ્યવસાયમાં ઘરેલુ ગેસના સિલિન્ડરોનો ગેરકાયદેસર વપરાશ અને કાળાબજાર ચરમસીમાએ પહોંચ્યા છે. કેટરર્સ સંચાલકો ગેસ એજન્સીઓ અને લોકલ ડીલરો સાથે સાંઠગાંઠ કરી જે બોટલ 1200 રૂપિયામાં બ્લેકમાં મેળવતા હતા, તેના ભાવમાં હવે તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. મોટા ફંક્શન કે પ્રસંગોમાં કોમર્શિયલ ગેસનો ઉપયોગ ફરજિયાત છે, તેમ છતાં નફાખોરી માટે વર્ષોથી ઘરેલુ ગેસના બોટલોનો જથ્થો ખડકવામાં આવે છે. જો પુરવઠા વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા પ્રસંગોમાં કેટરર્સના સંચાલકોની આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવે, તો મોટા પાયે ગેરકાયદેસર જથ્થો અને કૌભાંડ પકડાઈ શકે તેમ છે. આ જ સ્થિતિ રહેશે, રેસ્ટોરન્ટ બંધ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં : એસોસિએશનઆ બાબતે રેસ્ટોરન્ટ એસોસિએશનમાં પ્રમુખ તપનભાઈ રાઠીએ જણાવ્યું હતું કે જો આગામી સમયમાં પણ જો આ જ સ્થિતિ રહેશે, તો અમારે રેસ્ટોરન્ટ બંધ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં રહે. જેથી હોટેલ ઉદ્યોગ સાથે જોડાયેલા હજારો વેઈટર્સ, રસોઈયા અને સફાઈ કામદારો, ઝોમેટો અને સ્વીગીના રાઈડર્સની આજીવિકા પર જોખમ તોળાઈ રહ્યું છે. પૂરતા ઇંધણના અભાવે હોટેલોએ તેમની ઘણી વાનગીઓ બનાવવાનું બંધ કરવું પડશે. સાથે જ બજારમાં સિલિન્ડરના ભાવ વધવાની ભીતિ છે. કોમર્શિયલ ગેસના જથ્થામાં ઘટાડો: જિલ્લા પુરવઠા વિભાગકચ્છ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પુરવઠા અધિકારી અર્શ હાશ્મીએ જણાવ્કોયું હતું કે કોમર્શિયલ ગેસના જથ્થામાં ઘટાડો કરાયો છે. પણ “સામાન્ય જનતાએ ગભરાવાની જરૂર નથી. ઘરેલુ વપરાશ માટેના ગેસનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે અને તેમાં કોઈ કાપ મૂકવામાં આવ્યો નથી.” તંત્રએ લોકોને અનુરોધ કર્યો છે કે કોમર્શિયલ ગેસની અછતને ઘરેલુ ગેસ સાથે ન સાંકળે અને ગભરાહટમાં ન આવે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 6:06 am

ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો:ઉનાળો આકરો બનતા રૂદ્રમાતા ડેમના જળસ્તરમાં ભારે ઘટાડો

કચ્છ જિલ્લામાં આ વર્ષે કુદરતનો મિજાજ બદલાયો છે. સામાન્ય રીતે એપ્રિલ માસમાં જોવા મળતી કાળઝાળ ગરમી આ વખતે માર્ચની શરૂઆતમાં જ અનુભવાઈ રહી છે. જિલ્લામાં ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી જતાં જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. હીટવેવના કારણે બપોરના સમયે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. ગરમીના કારણે બાષ્પીભવન વધતા કચ્છના જીવાદોરી સમાન ડેમોમાં પાણી સુકાવા લાગ્યું છે. કચ્છના સૌથી મોટા રુદ્રમાતા ડેમની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. ડેમમાં અત્યારથી જ પાણી તળિયે પહોંચી ગયું છે અને વિશાળ જળાશયમાં હવે નહિવત પાણી બચ્યું છે. કચ્છમાં સામાન્ય રીતે જૂનના અંતમાં ચોમાસાનું આગમન થતું હોય છે. હજુ લાંબો ઉનાળો બાકી છે ત્યારે માર્ચ માસમાં જ ડેમો ખાલી થવા લાગતા પશુપાલકો અને ગ્રામીણ જનતામાં ફાળ પડી છે. જો ગરમીની તીવ્રતા આવી જ રહી તો ચોમાસા પૂર્વે જ મોટાભાગના ડેમો સંપૂર્ણ ‘તળિયા ઝાટક’ થઈ જવાની પૂરેપૂરી સંભાવના છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 6:04 am

NSUI દ્વારા રજૂઆત:કચ્છ યુનિ.માં 2024ની જાહેરાતના આધારે વર્ષ 2026માં ભરતી કેમ ? પ્રક્રિયા રદ કરો

કચ્છ યુનિવર્સિટીમાં ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફની હાલની ભરતી પ્રક્રિયા રદ્દ કરી ફરીથી કરવા જિલ્લા NSUI દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. યુનિવર્સિટી દ્વારા ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફની ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ છે, જેના ફોર્મ બે વર્ષ અગાઉ 2024માં ભરાવવામાં આવ્યા હતા. ભરતીમાં ગેરરીતિ થવાને કારણે સરકાર દ્વારા સમગ્ર ભરતી રદ્દ કરવાનો આદેશ અપાયો છે. આટલા લાંબો સમય થવાને કારણે ઘણા ઉમેદવારોના હિતોને નુકસાન થયું છે, આ બે વર્ષના સમયગાળામાં ઘણા ઉમેદવારોની વય મર્યાદા વધી ગઈ છે, જેથી તેઓ આ ભરતી માટે અયોગ્ય બની ગયા છે. ઘણા ઉમેદવારો અન્ય જગ્યાએ નોકરીમાં જોડાઈ ગયા છે. બીજી બાજુ જે વિદ્યાર્થીઓએ આ બે વર્ષ દરમિયાન સંબંધિત લાયકાત મેળવી છે, તેમને નવેસરથી ફોર્મ ભરાવાથી આ ભરતીમાં તક મળી શકે તેમ છે. કચ્છ યુનિવર્સિટીના કર્મચારીઓ માટે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવી છે તે અયોગ્ય છે ઉમેદવારોના હિતમાં આ જૂની ભરતી પ્રક્રિયાને તાત્કાલિક રદ્દ કરી વહેલી તકે નવેસરથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરીને પરીક્ષાની નવી તારીખો જાહેર કરવા માંગ કરાઈ છે. જો તાત્કાલિક ધોરણે નિર્ણય લેવામાં નહી આવે તો NSUI દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું કચ્છ જિલ્લા NSUI ના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું આવેદન આપતી વખતે ક્રિષ્નારાજસિંહ જાડેજા, તીર્થ ઠક્કર, સંદીપ રામ, યાગ્નિકભાઈ, હર્ષદભાઈ અને NSUI આગેવાનો હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 6:03 am

ભુજ ફાયર વિભાગને મળ્યું ₹ 7.10 કરોડનું ‘ઐરાવત’:27 મીટર લાંબી બુમ, ઊંચી ઇમારતોમાં ફાયર ફાઈટિંગ કરવા સક્ષમ

ભુજની સુરક્ષામાં વધારો કરતા, ગુજરાત રાજ્ય શહેરી વિકાસ વિભાગ અને અગ્નિ નિવારણ સેવાઓ દ્વારા ભુજ નગરપાલિકા ફાયર સ્ટેશનને અત્યાધુનિક ‘ટર્ન ટેબલ લેડર’ વાહન ફાળવવામાં આવ્યું છે. અંદાજે ₹7.10 કરોડની કિંમતનું આ વાહન હાઈરાઈઝ બિલ્ડિંગોમાં આગ કે ઇમરજન્સી સમયે આશીર્વાદરૂપ સાબિત થશે. આ વાહનની મુખ્ય વિશેષતા તેની 27 મીટર લાંબી બુમ (શાફ્ટ) છે, જે ઊંચી ઇમારતોમાં ફસાયેલા લોકોને બચાવવા અને ફાયર ફાઈટિંગ કરવા સક્ષમ છે. આ આધુનિક મશીનરીમાં 2500 લીટરની પાણીની ટાંકી પણ ઉપલબ્ધ છે. શહેર અને જિલ્લામાં આગની દુર્ઘટનાઓ સમયે ઝડપી રેસ્ક્યુ કામગીરી કરી માનવ જિંદગી બચાવવા માટે આ ‘ઐરાવત’ હવે આર.ટી.ઓ. સર્કલ પાસેના ફાયર સ્ટેશન પર સ્ટેન્ડબાય રહેશે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 6:01 am

એથ્લેટની જાતીય સતામણીના આરોપી સ્પોર્ટસ બોડીના વડાને આગોતરા જામીન નહિ

અલ્બાનિયાની હોટેલમાં સતામણી થયાનો આરોપ અનિચ્છાએ કિસ કરી હતીઃ મોબાઈલ પર રોમાન્ટિક મેસેજ મોકલ્યા હતાઃ આરોપોની ગંભીરતાને જોતાં આગોતરા જામીન આપવાનો ઈનકાર મુંબઈ- ૨૦૨૩માં મહિલા એથ્લીટનો પીછો કરીને કથિત જાતીય સતામણી કરવાના કેસમાં સ્પોર્ટ્સ બોડીના માજી પ્રમુખને આગોતરા જામીન આપવાનો બોમ્બે હાઈકોર્ટે ઈનકાર કર્યો હતો.અરજદાર સામેના આરોપોના પ્રકાર જોતાં અમે આગોતરા જામીન આપવા માગતા નથી, એમ કોર્ટે જણાવ્યું હતું. જૂન ૨૦૨૨માં એથ્લીટ અને તેના પતિ દ્વારા સંચાલિત મિક્સ્ડ માર્શલ આર્ટ્સ ટ્રેનિંગ સેન્ટર મિક્સ્ડ માર્શલ આર્ટ્સ ઈન્ડિયા ફેડરેશન સાથે સંકળાયું હતું.

ગુજરાત સમાચાર 12 Mar 2026 6:00 am

‘ગૃહ ખાવા માટે નથી’ શંકર ચૌધરી આકરા થયા:વિધાનસભામાં ધારાસભ્યોને ટોક્યા; રાજકોટમાં ગાંધીનગરથી નેતા આવ્યા, ફોટો પડાવ્યો ને ટોણો માર્યો

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 6:00 am

PAKમાં પેટ્રોલ-ડીઝલનું સંકટ, સરકાર પરેશાન:સ્થાનિક પત્રકારે ભાસ્કરને જણાવી વાસ્તવિક પરિસ્થિતિ, કહ્યું- ભાવ વધારો હજુ અઠવાડિયું ટાળી શકાયો હોત

એક લીટર પેટ્રોલના 335 રૂપિયા....એક લીટર ડીઝલના 321 રૂપિયા.... આ ભાવ વાંચીને ગભરાતા નહીં કેમ કે આ આંકડા ભારતના નહીં પણ આપણા પડોશી દેશ પાકિસ્તાનના છે. ઇરાન અને ઇઝરાયલ-અમેરિકા યુદ્ધના વમળમાં ફસાયેલા પાકિસ્તાનને બહાર નીકળવા માટે માત્ર જનતાની પરસેવાની કમાણી નીચોવવાનો રસ્તો જ દેખાઇ રહ્યો છે. વૈશ્વિક ઓઇલ સંકટનું બહાનુ ધરીને શાહબાઝ સરકારે પેટ્રોલમાં એકઝાટકે 55 રૂપિયાનો ભાવ વધારો કરી દીધો છે. જેનાથી પાકિસ્તાની જનતાની કમર તૂટી ગઇ છે. પાકિસ્તાનનું અર્થતંત્ર પણ સંપૂર્ણપણે IMFની ગુલામી હેઠળ છે. શું પાકિસ્તાન આ આર્થિક સુનામીમાં ટકી શકશે કે પછી IMFની શરતો અને ઓઇલ સંકટ તેને સંપૂર્ણપણે બરબાદ કરી નાખશે? ભાવ વધારાથી પાકિસ્તાનીઓમાં કેવો રોષ છે? આવા અનેક સવાલોના જવાબ મેળવવા દિવ્ય ભાસ્કરે પાકિસ્તાનના પત્રકાર જબ્બાર ચૌધરી સાથે વાત કરી હતી. પાક.માં મંત્રીઓને પોતાના ખર્ચે પેટ્રોલ-ડીઝલ પૂરાવવાનો આદેશએકતરફ ભારત રશિયા સાથે સ્માર્ટ ડીલ કરીને પોતાની ઇકોનોમી મજબૂત કરી રહ્યું છે ત્યારે બીજીતરફ પાકિસ્તાન તેના કટ્ટર વલણના કારણે પાયમાલ થઇ રહ્યું છે. પાકિસ્તાનની સરકારે મંત્રીઓને પોતાના ખિસ્સાના ખર્ચે પેટ્રોલ-ડીઝલ પુરાવવાનો આદેશ આપ્યો છે અને સરકારી ગાડીઓના ઉપયોગ પર કાપ મૂકવો પડ્યો છે. 60% ગાડીઓ બંધ રખાશે. અઠવાડિયામાં ફક્ત 4 જ દિવસ ઓફિસો શરૂ રખાશે. પેટ્રોલનો ઓછો ઉપયોગ થાય તે માટે વિદ્યાર્થીઓનું ભણતર પણ ઓનલાઇન કરી દીધું છે. રેલવે ભાડામાં વધારો, LPGના આસમાને પહોંચતા ભાવ અને પેટ્રોલની કિંમત પ્રતિ લીટરે 400-500 રૂપિયા થવાની દહેશતે પાકિસ્તાનને મેન્ટલ ટ્રોમામાં ધકેલી દીધું છે. પત્રકાર જબ્બાર ચૌધરીએ શાહબાઝ સરકારે લીધેલા આવા નિર્ણયો પાછળનું કારણ જણાવ્યું. પાકિસ્તાનમાં એનર્જી ક્રાઇસિસતેમણે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, પાકિસ્તાનમાં એનર્જી ક્રાઇસીસ થવાનો ડર છે જેથી સરકાર ખૂબ જ પરેશાન થઇ ગઇ છે. બીજીતરફ આ યુદ્ધ લાંબા સમય સુધી ચાલશે તેવો પણ ડર છે. પાકિસ્તાનની ઓઇલ ડિપેન્ડન્સી ગલ્ફ કન્ટ્રીઝ પર છે. હાલમાં આ બધું બંધ છે. આ જ કારણે હાલ પાકિસ્તાનમાં એનર્જી ક્રાઇસીસ જોવા મળી રહી છે. પાકિસ્તાનની એક્સપોર્ટ સિસ્ટમ પર પણ પ્રોબ્લેમ આવશે. હાલમાં જે દરિયાઇ માર્ગ છે તે સુરક્ષિત નથી. પાકિસ્તાન સરકારે એક અઠવાડિયામાં પેટ્રોલની કિંમતમાં 55 રૂપિયાનો વધારો કર્યો છે. પેટ્રોલ અત્યારે 330 રૂપિયા પર પહોંચ્યુંજબ્બાર ચૌધરીએ કહ્યું કે, અત્યાર સુધી પાકિસ્તાનમાં પેટ્રોલનો ભાવ 260 રૂપિયાની આસપાસ હતો પણ હવે ભાવ વધતાં પેટ્રોલ 330 રૂપિયાની આસપાસ પહોંચી ગયું છે. 1-2 દિવસ પહેલાં ઓઇલની કિંમતમાં ઘટાડો થયો છે. જો હજુપણ ઘટાડો થશે તો કદાચ પાકિસ્તાની 1-2 દિવસ પછી ફરી એકવાર પ્રાઇઝ રિવાઇઝ કરશે. ભારતની જેમ પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં રોજેરોજ ફેરફાર નથી થતો. જો કે હવે દર અઠવાડિયે રિવ્યૂ કરાશે. તેમના મતે, પાકિસ્તાનમાં અત્યાર સુધી દર મહિને ભાવમાં ફેરફાર થતો હતો. આ ભાવ પાકિસ્તાનના દરેક ખૂણામાં એક જ સરખો હોય છે. હાલમાં પાકિસ્તાનમાં જે પરિસ્થતિનું નિર્માણ થયું છે એ જોતાં સરકારે નિર્ણય કર્યો છે કે હવે દરેક અઠવાડિયે રિવ્યૂ કરવામાં આવશે. જેના પછી ભાવ નક્કી થશે. ઓઇલ રિઝર્વ કેપેસિટી એક મહિનાની પાકિસ્તાનની ઓઇલ રિઝર્વ કેપેસિટી એકાદ મહિના જેટલી જ છે. જો કે ટ્રમ્પના નિવેદન બાદ પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલ પહેલાંના ભાવે મળતા થઇ જશે તેવી આશા પત્રકાર ચૌધરીને છે. તેઓ કહે છે કે, ઇઝરાયલ-અમેરિકા અને ઇરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની અસર વિશ્વ પર પડી રહી છે. એ લોકો આખી દુનિયાને મુશ્કેલીમાં મૂકી રહ્યાં છે. પાકિસ્તાન નાની ઇકોનોમી ધરાવતો દેશ છે. આવામાં પાકિસ્તાન પાસે રિઝર્વ કરવાની ક્ષમતા પણ એકાદ મહિના જેટલી જ હોય છે. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે પણ હિંટ આપી છે કે યુદ્ધ હવે પૂરૂં થવા આવ્યું છે. જો આવું થાય તો પાકિસ્તાનમાં પહેલાં જે ભાવે પેટ્રોલ મળતું હતું તે જ ભાવે મળવા લાગે. પેટ્રોલ-ડીઝલ મોંઘા થતાં પાકિસ્તાનીઓમાં રોષ હોવાનો સ્વીકાર પણ તેમણે કર્યો.તેમણે જણાવ્યું, પાકિસ્તાન સરકારે જે નિર્ણય કર્યો છે તેનાથી લોકોમાં રોષ છે જ. આ વાતને કોઇ નકારી શકે તેમ નથી. અમારે ત્યાં પેટ્રોલ-ડીઝલમાં તો એક રુપિયો કે બે રૂપિયા પણ વધે તો લોકો કોમેન્ટ કરે છે. પેટ્રોલના ભાવ વધવાને કારણે બાકી બધી વસ્તુઓના ભાવ ઉપર પણ તેની અસર પડે છે. ચીજવસ્તુઓના ભાવ વધવાનો ડરતેઓ આગળ કહે છે કે, આવી પરિસ્થિતિમાં સામાન્ય જનતાની સુવિધાઓ ઉપર ચોક્કસ અસર થઇ જ છે. કેમ કે સરકારે 55 રૂપિયાનો વધારો ઝીંકી દીધો છે. બીજી તરફ પાકિસ્તાની સરકાર પોતાનો બેલ્ટ પણ ટાઇટ કરી રહી છે. શાહબાઝ શરીફે જે રીતે પાકિસ્તાનની જનતાને કરેલા સંબોધનમાં માત્ર એવું કહ્યું છે કે એનર્જીનો જેટલો ઓછો ઉપયોગ થઇ શકે તેટલો કરો. જેથી પેટ્રોલ-ડીઝલ મોંઘા ભાવે બહારથી લેવા ન પડે. ભાવ વધારો થોડા દિવસ રોકી શકાય તેમ હતોપાકિસ્તાન સરકારે પેટ્રોલના ભાવ વધારતા પહેલાં જે હોમવર્ક કરવું પડે તે નથી કર્યું. શું તેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે? આ સવાલ અંગે જબ્બાર ચૌધરીએ કહ્યું, ભાવ વધારાને કેટલાક દિવસ સુધી હજુપણ રોકી શકાય તેમ હતો. જો કે છેવટે તો આ કરવું પડે તેમ હતું. આ સિવાય પાકિસ્તાન પાસે બીજો કોઇ રસ્તો જ નહોતો. પેટ્રોલની કિંમત 400-500 રૂપિયા સુધી પહોંચશે?પેટ્રોલના ભાવ વધતાં પાકિસ્તાનીઓ કહી રહ્યા છે કે આ ભાવ વધારો પેટ્રોલ બોમ્બથી કંઇ ઓછો નથી. આ પરિસ્થિતિ વિશે જબ્બાર ચૌધરીએ જણાવ્યું કે, પાકિસ્તાનના લોકો માનસિક રીતે તૈયાર છે કે પેટ્રોલની કિંમત 400 થી 500 રૂપિયા સુધી પણ જઇ શકે છે. તેમણે ભારતને રશિયા તરફથી મળતાં ઓઇલને સફળતા ગણાવી અને પાકિસ્તાન હાલમાં વૈકલ્પિક રસ્તો શોધી રહ્યું હોવાનું કહ્યું.'હિન્દુસ્તાનને રશિયા તરફથી જે ઓઇલ મળ્યું છે એ ભારતની સફળતા છે. હિન્દુસ્તાનની ઇકોનોમી ખૂબ જ મોટી છે એટલું જ નહીં ઇઝરાયલ સાથે સારા સંબંધો પણ છે. તમે જાણો છો કે પાકિસ્તાનના તો ઇઝરાયલ સાથે સંબંધ છે નહીં, જે જગ્યાએ સંબંધ છે ત્યાં યુદ્ધ ચાલી રહ્યું છે. આવામાં કુવૈત, ઇરાકે પણ એક્સપોર્ટ બંધ કરી દીધું છે. પાકિસ્તાન હાલમાં વૈકલ્પિક રસ્તો કરી રહ્યું છે.' GDP પર નેગેટિવ અસરની શક્યતાતેમણે વધુમાં કહ્યું, પાકિસ્તાનની સરકાર આવી પરિસ્થિતિમાં પેટ્રોલનો ભાવ હજી એક અઠવાડિયા પછી વધારી શકતી હતી. પાકિસ્તાને અત્યાર સુધીમાં આ એક ખરાબ કામ કર્યું છે. બાકી તો આવી પરિસ્થિતિમાં પાકિસ્તાનમાં આવતી વસ્તુઓ અટકે નહીં તે માટે સરકારે કામગીરી કરી છે. હાલમાં જે પરિસ્થિતિ છે તેવી જ પરિસ્થિતિ એક મહિનો સુધી ચાલે તો પણ વાંધો આવે તેમ નથી પણ આવું ને આવું 5 કે 6 મહિના સુધી ચાલ્યું તો મને લાગે છે કે તેની અસર આવી શકે છે. જો એક્સપોર્ટવાળો મામલો લાંબા સમય સુધી ચાલે તો પાકિસ્તાનની GDP ઉપર નેગેટિવ અસર પડી શકે છે. પાકિસ્તાન IMF સાથે જોડાયેલું હોવાથી તે સબસિડી આપી શકે તેમ નથી. આ અંગે જબ્બાર કહે છે કે, પાકિસ્તાનની મજબૂરી એ છે કે તે IMFના પ્રોગ્રામમાં જોડાયેલુ છે. આવામાં પાકિસ્તાન પોતાની મરજીથી કંઇ કરી શકતું નથી. પાકિસ્તાન કોઇ સબસિડી આપી શકે તેમ નથી કેમ કે IMFએ સબસિડી આપવાની ના પાડી છે. જો સ્થિતિ બગડે તો પાકિસ્તાન IMFના પ્રોગ્રામમાંથી બહાર નીકળી શકે છે. એ પછી સરકારની જેટલી પણ બચત છે તેના પર નિર્ભર રહેશે. એવું નહીં બને કે સરકાર જનતાને છોડી દે. પાકિસ્તાન આવી પરિસ્થિતિમાં IMFની પણ ચિંતા નહીં કરે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 6:00 am

100, 200, 500… માગો એટલી નકલી નોટની એજન્ટે આપી ગેરંટી:ફોન પર ડીલ, 1 લાખ અસલી સામે 10 લાખની રેલવે સ્ટેશને ડિલિવરી, કહ્યું- ગુજરાતથી ઘણા લેવા આવે છે

“1 લાખ રૂપિયાની અસલી ચલણી નોટ આપો અને 10 લાખ રૂપિયાની નકલી નોટ લઈ જાવ. ATM, કેશ કાઉન્ટિંગ મશીન અને બેંકમાં પણ ચાલી જશે.” દેશમાં નોટબંધીને 10 વર્ષ થવા આવ્યા છતાં નકલી નોટો પર રોક લાગી હોય એમ લાગતું નથી. સોશિયલ મીડિયા પરના કેટલાક એવા એકાઉન્ટ ધ્યાને આવ્યા, જેના મારફતે નકલી કરંસીનો કારોબાર બેફામ રીતે ચાલી રહ્યો છે. “ફર્ઝી” વેબસિરિઝની માફક બિન્દાસ્ત રીતે ચાલતા આ ધંધાદારીઓને એક્સપોઝ કરવા માટે દિવ્ય ભાસ્કરે ઇન્વેસ્ટિગેશન કર્યું. આ દરમિયાન જે હકીકત સામે આવી એ મહેનતથી કમાનારા લોકોને તેમજ દેશના અર્થતંત્રને મોટું નુકસાન પહોંચાડે એવી હતી. ઇન્વેસ્ટિગેશનના પહેલાં તબક્કામાં અમે જે ઇન્ટાગ્રામ એકાઉન્ટ પરથી નકલી નોટો વેચવાની જાહેરાત થતી હોય તેને આઇડેન્ટીફાય કર્યા. અમને મળેલા ઘણા બધા એકાઉન્ટમાં વીડિયો બનાવનાર લોકો અલગ-અલગ હતા છતાં કેટલીક વાતો એકદમ સરખી હતી. 1- લોકોને લોભ જાગે એ માટે નોટોનો થપ્પા બતાવવામાં આવ્યા હતા.2- વીડિયોની શરૂઆતમાં જ કાગળ પર તારીખ લખેલી બતાવવામાં આવતી, જેથી વીડિયો ક્યારનો છે એ જોનારાને તરત જ ખ્યાલ આવે.3- તમામ વીડિયોમાં સેકન્ડ સિરીઝ, જેન્યુઅન ડિલ, હેન્ડ ટુ હેન્ડ ડિલિવરી જેવા શબ્દો વાપરવામાં આવ્યા હતા.4- તમામ એકાઉન્ટ માત્ર નકલી નોટ વેચવા માટે જ બનાવ્યા હોય એમ ત્યાં બીજી કોઈ એક્ટિવિટી નહતી. ઇન્સ્ટાગ્રામ પર બનેલું veer_7**** (એકાઉન્ટની પૂરી ઓળખ નથી આપી રહ્યા) નામનું એક એકાઉન્ટ અમારા ધ્યાને આવ્યું. જેના પર ચલણી નોટ વેચવાના ઘણા બધા વીડિયો અપલોડ થયા છે. કેટલાક વીડિયો ઘરની અંદર બેસીને બનાવવામાં આવ્યા છે, જેમાં પતરાની પેટીમાં 50, 100, 200 અને 500 રૂપિયાની નોટ દેખાય છે. સાથે જ કાઉન્ટિગ મશીન પણ છે. અમુક વીડિયો ઘરની બહારના પણ છે, જેમાં કડક નોટ બતાવીને બેફામ પ્રચાર થઈ રહ્યો છે. એક વીડિયો સાથે હિન્દી ભાષામાં લખ્યું છે, “જે કોઈ ભાઈને માલ જોઈએ તે આ નંબર પર કોલ કરે.” સાથે જ નંબર આપ્યો હતો 80871*****. અમે એક વીડિયો પ્લે કર્યો. જેમાં યુવક બોલે છે…“સેકન્ડ સિરિઝ, સેકન્ડ કરંસી. વન પ્લસ ટેન, એ-વન ક્વોલિટીનો માલ મળશે. 1 લાખના 10 લાખ છે. ATM, બેંકના મશીન ક્યાંય પણ ચાલી જશે. આ સિરિયલ નંબર અલગ-અલગ છે. ચેક કરી શકો છો.” અમે 80871***** નંબર પર નોર્મલ કોલ કર્યો. પણ કોલ જ ન લાગ્યો. એટલે પછી અમે વ્હોટ્સએપ કોલ કર્યો. પાંચ રિંગ વાગ્યા પછી એક પુરુષે ફોન ઉપાડ્યો. તે હિન્દી ભાષામાં વાતચીત કરી રહ્યો હતો. કરંસી વેચનાર અને રિપોર્ટર વચ્ચે શું વાતચીત થઈ એના મુખ્ય અંશો વાંચો. રિપોર્ટર: કરંસી માટે ફોન કર્યો છેએજન્ટ: મળી જશે રિપોર્ટર: ક્યાંથી બોલો છો તમે?એજન્ટ: ગુજરાતથી બોલું છું રિપોર્ટર: કરંસી માટે કોલ કર્યો છે, તો શું સીન છે?એજન્ટ: તમને મળી જશે. 1ના બદલે 10 રિપોર્ટર: ઓછામાં ઓછા કેટલા આપવા પડશે?એજન્ટ: 1 લાખનો માલ લેવો પડશે રિપોર્ટર: તો સામે કેટલા મળશે?એજન્ટ: 10 રિપોર્ટર: 1 લાખથી જ શરૂ થાય છે? એજન્ટ: હા રિપોર્ટર: કોઈ લફરું તો નહીં થાય ને? એજન્ટ: કોઈ વાંધો નહીં, એક હાથથી આપવાના, બીજા હાથથી લેવાના રિપોર્ટર: તમે ડિલિવરી કેવી રીતે કરશો?એજન્ટ: તમારે લેવા માટે આવવું પડશે મોટાભાઈ. તમે આવો, ચેક કરો અને લઈ જાવ. રિપોર્ટર: કોઈ મોકલાવી ન શકે?એજન્ટ: તો એવું કરી શકો છો કે તમે તમારું એડ્રેસ અને નંબર મોકલો. હું કુરિયર કરી દઉં છું. અડધા રૂપિયા અત્યારે મોકલી આપો, બાકીના કુરિયર મળ્યા પછી આપજો. રિપોર્ટર: જો મારે લેવા આવવું હોય, માલ જોવો હોય તો ક્યાં આવવું પડશે?એજન્ટ: તમે અત્યારે ક્યાંથી નીકળશો? રિપોર્ટર: હું સુરતની આસપાસ છુંએજન્ટ: તો અમદાવાદથી આવતી ટ્રેન પકડો, ભુસાવલથી આગળ મલકાપુર આવશે ત્યાં આવી જાવ. રિપોર્ટર: શું આ નોટ બેંકમાં નીકળી જશે?એજન્ટ: ATM મશીનમાં અને કાઉન્ટર મશીનમાં નીકળી જશે, તમે મને Hi લખીને મેસેજ કરો, હું તમને વીડિયો મોકલું છું. ખાસ નોંધવા જેવી વાત એ પણ છે કે સોશિયલ મીડિયા પર થઈ રહેલા દાવા પ્રમાણે 1 લાખની અસલ નોટ સામે આપવામાં આવતી 10 લાખની નોટ લાંબા સમય સુધી એવીને એવી રહેતી જ નથી. તેનો રંગ ઉડવા લાગે છે. એટલે આ મુદ્દે પણ અમે એજન્ટને સવાલ કર્યા. તેણે 1 વર્ષ સુધી નોટને કાંઈ ન થાય એ વાતની ગેરંટી આપી દીધી. રિપોર્ટર: કેટલા વર્ષ સુધી આ નોટ ચાલશે?એજન્ટ: 1 વર્ષ સુધી ચાલશે. રિપોર્ટર: કઈ નોટ મળશે?એજન્ટ: તમે માગશો એ મળી જશે, 100..200…500 રિપોર્ટર: તમારું નામ શું છે?એજન્ટ: તમને નામથી મતલબ છે કે કામથી મતલબ છે? તમે ફક્ત નીકળો એટલે મને ફોન કરી દેજો અને ટિકિટનો ફોટો મોકલી દેજો. તમને રેલવે સ્ટેશને જ માલ મળી જશે. રિપોર્ટર: તમે જ રેલવે સ્ટેશને આવશો ને? તમારા સિવાય કોઈની સાથે ડિલ નહીં કરીએ.એજન્ટ: અરે ભાઈ… હું કરું છું, મારો ભાઈ આ કામ કરે છે. ઓકે, તો હું જ આવી જઈશ. આટલી વાતચીત થયા પછી ફોન મૂકી દીધો. હવે અમે અન્ય એક એકાઉન્ટ પર જોવા મળેલી માહિતી પર ફોકસ કર્યું. ઇન્સ્ટાગ્રામ પર રામેશ્વરમ નામના એક એકાઉન્ટ પર નકલી કરંસીના વેપારની એક અલગ મોડસઓપરેન્ડ જોવા મળી. આ એકાઉન્ટ પર અપલોડ થતાં દરેક વીડિયોમાં જાણે ખરીદદારોને કદાચ વિશ્વાસ આવે કે પછી વીડિયો કેટલો નવો-જૂનો છે એ તરત જાણી શકાય એ માટે કાગળ પર તારીખ લખીને બતાવવામાં આવતી હતી. આવા જ એક વીડિયોમાં એક મહિલા કાગળ પર તારીખ લખેલી બતાવે છે 19 ઓક્ટોબર, 2025. પછી તે વીડિયોમાં બોલે છે, “સેકન્ડ સિરિઝ કરંસીનો સ્ટોક મારી પાસે અવેલેબલ છે. 1 લાખના 10 લાખ છે. કાઉન્ટિંગ મશીન, AMT, CDM બધામાં પાસ થઈ જશે. એ-વન ક્વોલિટીનો માલ છે. મળી જશે.” સ્ક્રીન પર મોબાઇલ નંબર આવ્યો… 95792*****. આ નંબર પર વ્હોટ્સએપ પ્રોફાઇલમાં એક ડોગીનો ફોટો હતો. વ્હોટ્સએપ કોલ ફોન કર્યો તો એક મહિલાએ જ ઉપાડ્યો. થોડી વાતચીત થયા પછી તેણે પોતાની ઓળખ ‘રાની’ તરીકે આપી. આ વખતે અમે ન માત્ર લાખો રૂપિયાની ડીલ કરવાની તૈયારી બતાવી. પરંતુ મોટો ઓર્ડર આપવાની લાલચ આપીને આ રેકેટ ચલાવનાર સાથે મિટિંગ કરાવી આપવાનો પણ પ્રસ્તાવ મૂક્યો. એટલું જ નહીં, નોટ ક્યાંથી આવે છે? કોણ છાપે છે? એ જાણવાનો પણ પ્રયાસ કર્યો. રિપોર્ટર અને કરંસી વેચવાનો દાવો કરનાર રાણી વચ્ચેની વાતચીતના કેટલાક અંશો વાંચો. રિપોર્ટર: કરંસી માટે કોલ કર્યો છેરાની: હા બોલો રિપોર્ટર: કેવી રીતે મળશેરાની: તમારે મહારાષ્ટ્રના મલકાપુરમાં આવવું પડશે. રિપોર્ટર: 1 લાખના કેટલા મળશે? રાની: 10 લાખ રિપોર્ટર: 1થી નીચે છે?રાની: હા સર, 50 હજારની નોટ પણ લઈ શકો છો. એના માત્ર 5 લાખ રૂપિયા આવશે. મલકાપુર આવીને કોલ કરજો. રિપોર્ટર: તમે મલકાપુર શહેરથી જ છો?રાની: હા… એ જ શહેરથી છીએ. રિપોર્ટર: કેટલાની કરંસી મળશે? 500વાળી કે 200 વાળી?રાની: 100…200…500 તમારે જે જોઈએ એ મળી જશે. રિપોર્ટર: સિરિયલ નંબર અલગ આવશે?રાની: બધી નોટના સિરિયલ નંબર અલગ હશે. કોઈ ચિંતા ન કરતા. રિપોર્ટર: આ નોટ કેટલા સમય સુધી ચાલી શકશે?રાની: 1 વર્ષ રિપોર્ટર: કોઈ લફરું તો નહીં થાય ને?રાની: ના… કાંઈ નહીં થાય. તમે ચેક કરીને લઈ જજો. રિપોર્ટર: 10, 20ની નોટ મળશેરાની: ના… એ નહીં મળે. રિપોર્ટર: શું આ નેપાળથી આવે છે?રાની: ના… આ નેપાળનો માલ નથી. અમારો માલ અલગ હોય છે. રિપોર્ટર: તમે પોતે જ કરો (છાપો) છો?રાની: ના… અમારા સર કરે છે. રિપોર્ટર: તમારા સર કોણ છે?રાની: તમારે એનાથી શું? તમારે રૂપિયાથી જ મતલબ ને. રિપોર્ટર: એક પાર્ટી છે તેને મોટું જોઈએ છે, એટલે કહું છું.રાની: કોઈ પ્રોબ્લેમ નહીં, તમને મળી જશે. રિપોર્ટર: સર સાથે મિટિંગ કરાવી શકો છો?રાની: સર કોઈની સાથે વાત નથી કરતા, બહાર નથી જતા. રિપોર્ટર: નોટના સેમ્પલ મળી જશે? રાની: હા… મળી જશે. રિપોર્ટર: કેવી રીતે મળશે?રાની: એના માટે પણ તમારે આવવું પડશે. રિપોર્ટર: લોકેશન મળી શકે છે?રાની: હા… મોકલું છું. જો કે અમને કોઈ લોકેશન મોકલવામાં આવ્યું નહીં. પરંતુ આ વાતચીત પરથી એટલું તો સ્પષ્ટ થઈ ગયું કે મહારાષ્ટ્રના ભૂસાવલની આસપાસના શહેરોમાંથી નકલી ચલણી નોટનું રેકેટ ઓપરેટ થઈ રહ્યું છે. હવે, આ રેકેટમાં સામેલ લોકો પાસેથી અમારે એ જાણવું હતું કે શું ગુજરાત સુધી આવી નોટો પહોંચી રહી છે કે કેમ? આ જ શોધખોળમાં અમને વધુ એક સોશિયલ મીડિયા એકાઉન્ટ અને મોબાઇલ નંબર મળી આવ્યો. મહાદેવી ભોંસલે નામના એક એકાઉન્ટ પર તો 500ની નોટના બેગ ભરી-ભરીને બંડલ જોવા મળ્યા. કાઉન્ટિંગ મશીનમાં ગણીને એક ખોખામાં મૂકવામાં આવી રહ્યા હતા. જો કે આ વીડિયોમાં કોઈ કાંઈ જ બોલતું નથી. પણ તારીખ, મોબાઇલ નંબર અને ખોખામાં ભરેલી ચલણી નોટો ઘણું સૂચવી જાય છે. આ વીડિયોની સાથે આપેલા મોબાઇલ નંબર 83293***** પર અમે અગાઉની માફક કોલ કર્યો. વ્હોટ્સએપ પ્રોફાઇલ પિક્ચર પર આલ્ફાબેટ D લખેલું આવ્યું. ત્રણથી ચાર રિંગ વાગી એટલામાં એક મહિલાએ ફોન ઉપાડ્યો. આ વખતે અમારી પાસે ગુજરાતને લગતા અને મોટી ડીલ કરવા અંગે ઘણા સવાલો હતા. રિપોર્ટર: કરન્સી માટે કોલ કર્યો છે.એજન્ટ: હા… બોલો રિપોર્ટર: ક્યાંથી છો મેડમ?એજન્ટ: મહારાષ્ટ્રના શેગાંવથી રિપોર્ટર: કેટલાથી શરૂ થાય છે?એજન્ટ: 1 લાખથી. 1 લાખના 10 લાખ મળશે. રિપોર્ટર: માલ લેવા માટે મારે ક્યાં આવવું પડશે?એજન્ટ: તમારે શેગાંવ સ્ટેશન બહાર આવવું પડશે. રિપોર્ટર: નજીકમાં કયું શહેર છે? મારે કાર લઈને આવવું હોય તો?એજન્ટ: તમે ક્યાંથી છો? રિપોર્ટર: હું સુરતથી છું.એજન્ટ: સારું તો હું સાંજે ભાઈ સાથે વાત કરાવી દઈશ. રિપોર્ટર: તમારા ભાઈ આ બધું સંભાળે છે?એજન્ટ: હા રિપોર્ટર: બેંકમાં કોઈ પ્રોબ્લેમ તો નહીં થાય ને?એજન્ટ: ના રિપોર્ટર: કેટલો સમય ચાલે છે આ નોટ?એજન્ટ: 1 વર્ષની ગેરંટી આપીએ છીએ. પછી (નોટનો) રંગ ફિકો પડી જશે. રિપોર્ટર: તમે જ છાપો છો કે બહારથી લાવો છો?એજન્ટ: એ અમારો માલ નથી. હું ભાઈ સાથે વાત કરાવીશ, એમને પૂછી લેજો. રિપોર્ટર: 1 લાખથી ઓછાની નોટ જોઈએ તો મળે?એજન્ટ: ના… ભાઈ એક લાખથી ઓછામાં તો નહીં રિપોર્ટર: ગુજરાતના કસ્ટમર લેવા માટે આવે છે?એજન્ટ: હા… આવે છે… ઘણીવાર આવ્યા છે રિપોર્ટર: મારી પાસે બે મોટી પાર્ટી છે. તમારે દરરોજનો કેટલો માલ નીકળી જાય છે? 5-7 લાખનો માલ નીકળે?એજન્ટ: અરે ભાઈ… બહુ વેચાય છે. તમે ભાઈ સાથે વાત કરી લેજો. સોશિયલ મીડિયા મારફતે નકલી નોટનો ધંધો કરવા માટે બનાવવામાં આવેલા એકાઉન્ટ બાબતે અમે વધુ એક વાત નોંધી. અમે જેટલા પણ એકાઉન્ટ સુધી પહોંચ્યા એ થોડાક સમય પહેલાં જ બનાવવામાં આવ્યા હતા. લગભગ 3 મહિના કરતા પણ વધુ સમય સુધી આવા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નજર રાખવાની એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે અમુક ચોક્કસ સમય સુધી આવા એકાઉન્ટ એક્ટિવ રહે છે અને દરરોજ તેના પર નકલી નોટના વીડિયો અપલોડ કરવામાં આવે છે, જેની સાથે મોબાઇલ નંબર પણ હોય છે. જો કે અમુક સમયગાળા પછી આવા સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ થઈ જાય છે અને મોબાઇલ નંબર પર ડિએક્ટિવેટ કરી દેવામાં આવે છે. પછી નવા મોબાઇલ નંબર અને નવા સોશિયલ મીડિયા એકાઉન્ટ થકી એજન્ટો ફરીથી એક્ટિવ થાય છે. જેના કારણે કોઈ એક એજન્ટને ટ્રેક કરવો મુશ્કેલ બની જાય છે. દેશમાં નકલી ચલણી નોટના સરક્યુલેશનને રોકવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કેવી રીતે કામ કરે છે, વિવિધ બેંકો શું સાવધાની રાખે છે તેમજ સામાન્ય વ્યક્તિ પાસે નકલી નોટ આવી જાય તો શું કરવું જોઈએ, એ સમજવા માટે અમે સૌરાષ્ટ્ર-કચ્છ અર્બન બેંક ફેડરેશનના CEO પુરષોત્તમ પીપળિયાને કેટલાક સવાલ કર્યા. તેમણે અમને એક સર્ટિફાઇડ મશીનમાં નકલી નોટ કેવી રીતે ઓળખી શકાય તેને ડેમો પણ બતાવ્યો. સવાલ: ગુજરાત સહિત દેશભરમાં નકલી નોટ ઘુસાડવા પર રોક કેમ લાગી નથી શકતી?જવાબ: નકલી નોટ અંગે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સમયાંતરે ગાઇડલાઇન જાહેર કરે છે. જેમાં નકલી નોટ કેવી રીતે ઓળખી શકાય એ પણ જણાવવામાં આવે છે. બેંકો આ જાણકારીથી ગ્રાહકોને પણ વાકેફ કરે છે. ડુપ્લિકેટ કે રદ્દી નોટ અલગ તરવાઈ જાય એવા મશીન દેશભરની બેંકમાં રાખવાનો નિયમ છે. સવાલ: રિઝર્વ બેંક તેમજ ગૃહ વિભાગે નજીકના ભૂતકાળમાં ક્યારે અને કેવા પ્રકારની ચેતવણી આપી હતી?જવાબ: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સમયાંતરે વિવિધ ફ્રોડની જાણ બેંકને કરે છે. પછી નોટ કાઉન્ટિંગ મશીનમાં પણ ફિચર અપડેટ કરવામાં આવે છે. એટલે બેંકો નકલી નોટોના વહનનું સાધન ન બની શકે. સવાલ: નિયમોમાં કેવા ફેરફારોની જરૂર છે? જવાબ: અત્યારના નિયમો કડક જ છે. છતાં ગુનેગારો એક સ્ટેપ આગળ જ ચાલતા હોય છે. એટલે જેમ-જેમ રિઝર્વ બેંકને આવી જાણ થાય તે દેશભરની બેંકોને સજાગ કરતી હોય છે. સવાલ: નકલી નોટ મળે તો સામાન્ય લોકોએ શું કરવું જોઈએ?જવાબ: જો કોઈ વ્યક્તિને પોતાની પાસે રહેલી નોટ નકલી હોવાની શંકા હોય તો બેંકમાં જઈને ચેક કરાવી શકે છે. આ નોટ ક્યાંથી આવી એ બાબતની જાણ પોલીસને કરવી જોઈએ. જો 4 કરતા ઓછી નોટ હોય અને કોણ આપી ગયું છે એ ખબર ન હોય તો પોલીસમાં રિપોર્ટ કરવો જોઈએ. દિવ્ય ભાસ્કરે આ તમામ ઘટનાક્રમ અંગે એક જાગૃત નાગરિક અને મીડિયા હાઉસ તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને પુરાવા સાથે ઇમેલ કર્યો છે. આ સાથે જ રિઝર્વ બેંકનો આ વિષય પર જવાબ પણ માગ્યો છે. RBIનો જવાબ આપતા જ તેને આ આર્ટિકલમાં અપડેટ કરી દઈશું. અમે જેટલા પણ એજન્ટો સાથે વાત કરી એ દરમિયાન તેમની પાસેથી ડીલ કરવાના નામે માત્ર જાણકારી મેળવી છે. કારણ કે ભારતમાં નકલી ચલણી નોટો બનાવવી, રાખવી કે તેનો ઉપયોગ કરવો એ ગંભીર ફોજદારી ગુનો છે. ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNS 2023 હેઠળ અલગ-અલગ કલમો લાગૂ પડી શકે છે. રિઝર્વ બેંકના વર્ષિક રિપોર્ટ મુજબ, વર્ષ 2023-24માં પકડાયેલી નકલી ચલણી નોટના ડેટાની તુલના 2024-25 સાથે કરીએ તો કેટલીક ચિંતાજનક હકીકતનો ખ્યાલ આવે છે. 500ની નવી નોટોમાં 37.35% નો વધારો થયો છે. આ આંકડો સૂચવે છે કે બજારમાં 500ની નકલી નોટોનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. આવી જ રીતે 200 રૂપિયાની નોટમાં 13.91 ટકાનો વધારો થયો છે. જો કે 100ની ચલણી નોટ પણ 50 લાખ રૂપિયાની પકડાઈ છે. પણ પાછલા વર્ષની સરખામણીએ એમાં 23 ટકાનો ઘટાડો થયો છે. રિઝર્વ બેંકે 1 એપ્રિલ, 2025 ના રોજ Master Direction on Counterfeit Notes, 2025 જારી કર્યો હતો. જેમાં તમામ બેંકોને આ બાબતે અવગત કરી હતી. ગૃહ મંત્રાલયે પણ ગયા વર્ષે આ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને હાઈએલર્ટ જારી કર્યું છે. સરકારે ચેતવણી આપી છે કે આ નકલી 500 રૂપિયાની નોટો વાસ્તવિક નોટો જેવી જ દેખાય છે અને સામાન્ય રીતે તેમની વચ્ચે તફાવત કરવો મુશ્કેલ છે. જોકે, સરકારે કેટલાક ઓળખ ચિહ્નો સૂચવ્યા છે જેનાથી નકલી નોટો ઓળખવાનું શક્ય બનશે. ગૃહ મંત્રાલયે આ ચેતવણી DRI, FIU, CBI, NIA, SEBI જેવી મુખ્ય નાણાકીય અને નિયમનકારી સંસ્થાઓ સાથે શેર કરી હતી.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 6:00 am

દારૂડિયા ઝડપાયા:સમા-સાવલી રોડ પર કારમાંથી દારૂ પીઘેલી હાલતમાં ઇજનેર અને બે ડોકટર ઝડપાયા

દુમાડ પાસે કારને ટક્કર મારી ભાગેલા અમદાવાદના બે ડૉક્ટર અને ઇજનેર સમા-સાવલી રોડ પર કારમાંથી દારૂ પીધેલી હાલાતમાં પકડાયા હતા. જનરક્ષક પોલીસના વાહનને વિકાસ પટેલે મંગળવારે જાણ કરી હતી કે, સમા સાવલી રોડ આઈઓસીએલ પેટ્રોલ પંપની સામે એક શખ્સ નશાની હાલતમાં કાર ચલાવી રહ્યો છે. જેના આધારે પોલીસ સ્થળ પર પહોંચી હતી. જ્યાં એક કારમાં ત્રણ જણા મળી આવ્યા હતા. પોલીસે તપાસ કરતા તે ત્રણેયે દારૂ પીધો હોવાનું જણાયું હતું. અકસ્માત થયો હોવાથી તેમની કાર પણ ચાલે તેવી સ્થિતિમાં રહી નહોતી. કારમાંથી અમદાવાદના ઇજનેર પરાગ ચૌહાણ, અને બે તબીબ ડો.અંકુર ચૌહાણ, ડો.ધૈર્ય આચાર્ય દારૂ પીધેલા પકડાયા હતા. અમદાવાદથી મિત્રના લગ્નમાં વડોદરા આવતાં કારમાં જ દારૂ પીધો હોવાનું પોલીસનું અનુમાન છે. પરાગ ચૌહાણને ઓવરસ્પીડિંગના મેમો મળ્યા હતાપરાગ ચૌહાણે ઓગસ્ટ-2024માં ખેડા સોનીપુરમાં ઓવરસ્પિડિંગ કર્યું હતું, જેને લઈ તેને લાયસન્સ ન હોવાનો અને ઓવસ્પિડિંગનો મેમો અપાયો હતો.ઉપરાંત તે જ મહિનામાં પરાગે ગોધરામાં ઓવરસ્પિડિંગ કર્યું હતું અને તેમાં પણ તેને મેમો અપાયો હતો. ઓક્ટોબર-2024માં તેને અમદાવાદમાં ઓવસ્પિડિંગ કરતા ચલણ અપાયું હતું. પરાગને દંડ કરાતો હતો. જોકે તે તેમ છતાં ઓવરસ્પિંડિંગ કરતો હતો તેમ જાણવા મળ્યું છે. ત્રણ જણા સામે દારૂ પીધેલા હોવાનો કેસ નોંધ્યોત્રણ જણા પીધેલા પકડાયા હતા, તેમની સામે દારૂ પીધેલા હોવાનો કેસ કર્યો છે અને તેમની કાર કબ્જે કરી છે. મારામારી અંગે કોઈ ફરિયાદ મળી નહોતી. > બી.બી.કોડિયાતર, પીઆઈ, સમા પોલીસ સ્ટેશન. ફર્સ્ટ પર્સનએકે ફોરેસ્ટ ઓફિસરની ઓળખ આપીહું કાર લઈને ઘરે જઈ રહ્યો હતો. ત્યારે દુમાડ પાસે મારી કારને પાછળથી એક કારે અથાડી ભાગી ગયો હતો. મેં પીછો કરીને પેટ્રોલ પંપ પાસે પકડી લીધા હતા. કારમાંથી ત્રણ જણે ઉતરી મને માર માર્યો હતો. એક જણ પોતે ફોરેસ્ટ ઓફિસર હોવાનું કહેતો હતો. રાહદારીઓ એકત્ર થઈ જતા ત્રણેય ભાગી ગયા હતા.ત્રણેવે પોલીસ સાથે પણ તુ-તુ મેં-મેં કરી હતી. વિકાસ પટેલ, કાર ચાલક

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 5:58 am

ઠગાઈ:મહીસાગરના નિવૃત્ત પીએસઆઈને તબેલાની દોઢ કરોડની લોનનું કહીને 2 ઠગે 4.37 લાખ પડાવ્યા

મહિસાગરના નિવૃત્ત પીએસઆઈને તબેલાની લોન કરાવવાના બહાને સારાભાઈ કોમ્પ્લેક્ષમાં આવેલા નમો નમઃ ફિન સર્વ પ્રા.લી.ની ઓફિસ ચલાવતા બે ગઠિયાએ રૂ.4.37 લાખ પડાવતાં ગોરવા પોલીસે ગુનો નોંધ્યો હતો. મહિસાગરના ખાનપુરમાં રહેતા ઉદેસિંહ ફતાભાઈ માલિવાડ પોલીસ સબ ઈન્સ્પેક્ટર તરીકે 2017માં નિવૃત્ત થઇ ખેતીકામ કરતા હતા. સાથે તબેલો બનાવવાનું આયોજન કર્યું હતું. તેમને જાણવા મળ્યું હતું કે, ગેંડા સર્કલ સારાભાઈ કોમ્પ્લેક્ષના નમો નમઃ ફિન સર્વ પ્રા.લી.માં તબેલા માટે લોન મળે છે. જેથી ઉદેસિંહ 2019માં ત્યાં પહોંચ્યા હતા, જ્યાં સદ્દામહુસેન મકબુલઅહેમદ કુરેશી (રહે, સ્લમ ક્વાટર્સ, નવાપુરા) મળ્યો હતો. તેમને જમીન બતાવતાં વેલ્યુએશન ત્રણ કરોડનું આવ્યું હતું. સદ્દામે ઉદેસિંહને જાણ કરી હતી કે, 3 કરોડની લોન મંજૂર કરવામાં આવે તો તમારે એડવાઇઝર, કિમીટીના છ મેમ્બર, એડવાન્સ હપ્તા થઈને 3 કરોડમાંથી 2 કરોડ હાથમાં આવશે. જેથી તમે દોઢ કરોડની લોન મંજૂર કરાવશો, તો તમારે ઓછુ પેમેન્ટ આપવું પડશે. તેઓ દોઢ કરોડની લોન લેવા રાજી થયા હતા. તેમની પાસે ફાઇલ ચાર્જ પેટે રૂ.5.51 લાખ લેવાયા હતા. પરંતુ લોન મંજૂર ન થતા રૂ.5 લાખ પરત કરાયા હતા. ત્યારે સદ્દામે દોઢ કરોડની લોન અપાવવા ઉદેસિંહ પાસેથી રૂ.1.11 કરોડ અલગ અલગ બહાને લીધા હતા, પરંતુ ઉદેસિંહ પાસે તેમના કોઈ પૂરાવા નહોતા. ઉદેસિંહે આંગડિયા પેઢી મારફતે ઉદેસિંહે રૂ.4.37 લાખ મોકલ્યા હતા. જેના પૂરાવા રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે નમો નમઃ ફિનસર્વ પ્રા.લી.ની ઓફિસના મેનેજર ગજેન્દ્રસિંહ ભરતસિંહ જાદવ (રહે, મોરા, તીલકવાડા) પણ ઓફિસે મળી કેટલાક ડોક્યુમેન્ટ લીધા હતા. બંને જણાએ ભેગા મળીને ઉદેસિંહ પાસે લોન કરાવી આપવાના બહાને ખોટી રીતે રૂપિયા પડાવી લઈને છેતરપિંડી કરી હતી. આ મામલે ગોરવા પોલીસે બંને સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. બે વર્ષ અરજી ઈકો સેલમાં રખાઇ દફ્તરે કરી દેવાઇ ગૃહમંત્રીને રજૂઆત કરાતાં ગુનો નોંધવામાં આવ્યોઠગાઈ મામલે નિવૃત્ત પીએસઆઈએ ઉચ્ચ અધિકારીને રજૂઆત કરી હતી. ત્યારબાદ અરજી 2024માં ઈકો સેલમાં અપાઈ હતી. પરંતુ અરજીને દફતરે કરી દેવાઈ હતી. જેથી નિવૃત્ત પીએસઆઈએ જે-તે સમયે પૂર્વ એડી.સીપી મનોજ નિનામાને રજૂઆત કરી હતી. ત્યારબાદ ત્યાંથી પણ કોઈ ઉકેલ ન આવતા ગૃહ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆત બાદ અરજી રીઓપન કરીને કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. ભેજાબાજોએ 17 ઓફિસ ખોલી અન્યને પણ ઠગ્યાઉદેસિંહ માલિવાડે કહ્યું હતું કે, સદ્દામ કુરેશી અને ગજેન્દ્રસિંહ જાદવે શહેરમાં 17 જેટલી ઓફિસ ખોલી હતી. તેમને અન્ય લોકો સાથે પણ ઠગાઈ કરી છે. તપાસ કરતા તે ઓફિસ બંધ મળી હતી. મેં ઘર, ટ્રેક્ટર સહિત વેચીને રૂપિયા ચૂકવ્યા હતા. મેં રૂ.65 લાખ જેટલા ચૂકવ્યા તેના પૂરાવા એકત્ર કરીને રજૂ કર્યા છે. પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 5:52 am

સત્યજિતસિંહ ગાયકવાડની માગ:મહારાજા સયાજીરાવને તેમના કાર્યો બદલ ભારતરત્ન આપો

મહારાજા સયાજીરાવ ગાયકવાડનો વડોદરા, બરોડા સ્ટેટમાં 63 વર્ષના સુદીર્ધ શાસનકાળ હતો. તેમાં તેમણે અનેક લોકોપયોગી કાર્યો કર્યા હતા. શિક્ષણ, દેશપ્રેમ, વેપાર-ઉદ્યોગો અને વિકાસકાર્યો કર્યા હતા. તેમના આ કાર્યો માટે ભારત સરકારે તેમને દેશનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ ભારતરત્નથી સન્માનિત કરવા જોઇએ. આ માગ મહારાજા સયાજીરાવના મોટાભાઇના પ્રપૌત્ર સત્યજિતસિંહ ગાયકવાડે કરી છે. તેમણે કહ્યું કે, મહારાજાએ શિક્ષણ ક્ષેત્રે બરોડા કોલેજ (મ.સ.યુનિ.), આજવા સરોવર, બીઓબી, સયાજીબાગ, રેલવે, વેપાર ઉદ્યોગોને પ્રોત્સાહન, ગામેગામ લાઇબ્રેરીઓ ઉપરાંત અનેક સંસ્થાઓને દાન કર્યું છે. દેશના અને લોકોના વિકાસ માટે નોંધપાત્ર પ્રયાસો કર્યા છે. આ બાબતોને ધ્યાનમાં લઇને તેમને ભારત રત્ન એવોર્ડ એનાયત કરવો જોઇએ. તેમણે આ માગણી 2019માં પણ કરી હતી. મહારાજાએ અરવિંદ ઘોષ, લોકમાન્ય ટિળક અને સુભાષચંદ્ર બોઝને પણ મદદ કરી હતીદેશની આઝાદીની લડત સાથે સંકળાયેલા તત્કાલિન સ્વાતંત્ર્યવીરો અરવિંદ ઘોષ, લોકમાન્ય ટિળક, સુભાષચંદ્ર બોઝને પણ તેમણે આર્થિક સહિતની તમામ સહાય કરી હતી. દેશની આઝાદી માટે હિટલર સાથે પણ ગુપ્ત બેઠકની વાત જાણીતી છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 5:49 am

ભાસ્કર એક્સક્લુસિવ:બિલ્ડર વિરલ અજમેરા-પુત્ર સામે 150 કરોડની જમીન મુદ્દે લેન્ડ ગ્રેબિંગ નોંધવા કલેક્ટરનો હુકમ

શહેરના મોટાગજાના બિલ્ડર પિતા-પુત્ર અને મહિલા સહિત 6 સામે આણંદ કલેક્ટરે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવા હુકમ કર્યો છે. મહીસાગર નદીના કિનારે આવેલી અંદાજે 150 કરોડની જમીનના વિવાદમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ ઉઠતાં કલેક્ટરે આદેશ આપ્યો છે. મહત્ત્વની વાત એ છે કે, આ મામલામાં ફરિયાદી પણ શહેરના તરસાલીનો રહીશ છે. જેમાં મિનેશભાઈ બિપીનભાઇ પટેલ દ્વારા આણંદ કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગ અંગે 8 એપ્રિલ,2025માં ઓનલાઇન અરજી કરી હતી. જેમાં આંકલાવ તાલુકાના ભેટાસી વાંટા ગામની જમીન અંગેની ફરિયાદ હતી. જેમાં શહેરના બિલ્ડર વિરલ હસમુખરાય અજમેરા અને પુત્ર અભિષેક વિરલ અજમેરા, પેરેડાયઝ કોમ્પ્લેક્સ, સયાજીગંજ તથા આરપીએ પાર્ટનર સર્વિસના ભાગીદારોનો સમાવેશ થાય છે. મિનેશભાઈએ આણંદ કલેક્ટર સમક્ષ ફરિયાદ કરી હતી કે, આંકલાવ તાલુકાના વાંટા ગામની જમીનના એ માલિક છે, જેની પૂર્વમાં મહીસાગર નદી છે. આ માલિકીની જમીનમાં 6 ઇસમો દ્વારા 2 પાકાં મકાનોનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવે છે. કોઈ પણ જાતના પુરાવા વગર નગર નિયોજક કચેરીના નકશા પાસિંગ વગર બાંધકામ ચાલે છે. જમીનની જિલ્લા નિરીક્ષક દફતરે કચેરીની માપણી રજૂ કરી છે. આ જમીનનો કબજો અપાવી ન્યાય મળે એ માટે ગુજરાત જમીન પચાવવા પર પ્રતિબંધ હેઠળની કાર્યવાહી કરવા માગ કરી હતી. જે અંગે સમિતિના નિર્ણય બાદ કલેક્ટરે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવા હુકમ કર્યો હતો.જેની સામે અગાઉ બોરસદ કોર્ટમાં બિલ્ડર વિરલ અજમેરા દ્વારા આગોતરા જામીન અરજી મૂકવામાં આવી હતી, જેને જજ જે.આર.પંડિતે નામંજૂર કરી હતી. જ્યારે અન્ય સેલ્વાદાસ જ્ઞાનમણી જોય ખ્રિસ્તીયન દ્વારા બોરસદ ડે.કલેક્ટર લેન્ડ ગ્રેબિંગ અંગે કાર્યવાહી ન કરે તેવી માગ કરવામાં આવી હતી. જેને પણ હાઈકોર્ટના જસ્ટિસ અનિરુદ્ધ.પી.મેઈ દ્વારા નકારી કાઢવામાં આવી હતી. જો કે તેમ છતાં હજી સુધી આ મામલે પોલીસ ફરિયાદ ન થતાં અનેક સવાલો ઊભા થયા છે. કમિટીએ સર્વાનુમતે નિર્ણય લઇ જિલ્લા પોલીસ વડાને મોકલ્યોકલેક્ટર આણંદની મિનેષ પટેલે કરેલી ઓનલાઇન લેન્ડ ગ્રેબિંગની અરજી બાદ કમિટીની બેઠક મળી હતી. જેમાં પોલીસ ફરિયાદ કરવા સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો હતો. જેની જાણ કરતો પત્ર જિલ્લા પોલીસ અધિક્ષકને મોકલાયો હતો. જેમાં આરોપી તરીકે વિરલ હસમુખરાય અજમેરા અને અભિષેક વિરલ અજમેરા હોવાનું દર્શાવ્યું છે. જ્યારે વિરલ અજમેરાએ આર.પી.એ સર્વિસીસના ડિરેક્ટર સેલ્વાદાસ જ્ઞાનમની સાથે કરેલા રજિસ્ટર વેચાણ દસ્તાવેજમાં અસ્પષ્ટ વિગતો હોવાનું જણાવ્યું છે. આ ઓર્ડર જિલ્લા પોલીસ અધિક્ષક ઉપરાંત પ્રાંત અધિકારી બોરસદ અને મામલતદાર આંકલાવને પણ મોકલવામાં આવ્યો હતો. ફરિયાદીને ફરિયાદ નોંધાવવા બોલાવ્યા છેવાંટાની જમીન પચાવી પાડવા અંગે તરસાલીના મિનેષ પટેલે કલેક્ટરને ફરિયાદ કરી હતી. જેમાં કમિટીએ વિરલ અજમેરા અને અભિષેક અજમેરા વિરુદ્ધ નિર્ણય લેવાયો હતો. કલેક્ટરે બંનેવે લેન્ડગ્રેબિંગ કર્યું હોવાનું ઠેરવી પોલીસ ફરિયાદ કરવાનો હુકમ કર્યો હતો. મિનેશભાઈને ફરિયાદ આપવા જાણ કરી હતી. એ બહાર હોવાથી આવી શક્યા નથી. આવ્યા બાદ નિવેદન લઈ ગુનો નોંધાશે. > પી.જે બાંટવા, પીએસઆઇ, આંકલાવ પોલીસ મથક મેં જ તેમને જમીન વેચી હતીઆંકલાવના ભેટાસી વાંટા ગામની સર્વે નં. 976 વાળી જમીન મારી હતી. મેં જ આ જમીન મિનેશભાઈને વેચી હતી. બાદમાં અન્ય જમીન પર ચાલતા બાંધકામને પોતાની જમીન સમજી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં કલેક્ટરે લેન્ડ ગ્રેબિંગ અંગે પોલીસ ફરિયાદ કરવા હુકમ કર્યો છે. જોકે ઊંચા-નીચા ટેકરાવાળી જમીન હોવાથી માપણી શક્ય નથી. > વિરલ અજમેરા, આરોપી બિલ્ડર

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 5:48 am

પરફોર્મિંગ આર્ટ્સના ડ્રામેટિક્સ ડિપાર્ટમેન્ટ ખાતે વક્તવ્ય યોજાયું:આધુનિકતાનો ટચ લોક શૈલીને જીવંત રાખી વર્તમાનથી જોડશે: રૈના

મ.સ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડ્રામેટિક્સ ડિપાર્ટમેન્ટ ખાતે ભારતીય રંગભૂમિ અને સિનેમાના દિગ્ગજ વ્યક્તિત્વ એમ.કે. રૈનાનું એક વિશેષ વક્તવ્ય અને ઇન્ટરેક્ટિવ સેશન યોજાયું હતું. પાંચ દાયકાથી વધુનો અનુભવ ધરાવતાએમ.કે. રૈનાએ વિદ્યાર્થીઓ સાથે પોતાની જીવનયાત્રા, અભિનયની બારીકીઓ અને લોકશૈલીના મહત્વ વિશે સંવાદ કર્યો હતો. જેમાં ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડીન પ્રોફેસર અજય અષ્ટપુત્રે અને ડ્રામેટિક્સ ડિપાર્ટમેન્ટના એચ.ઓ.ડી. પ્રોફેસર દર્શન પુરોહિત સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. એમ.કે. રૈનાએ જણાવ્યું હતું કે, “શિક્ષણ એ’ ભગવાન બોલે અને ભક્તો સાંભળે’ તેવું ન હોવું જોઈએ, પરંતુ તે વિચારોનું આદાન-પ્રદાન હોવું જોઈએ. તેમણે લોક કલાનું ઘણુ મહત્વ છે. જ્યારે ગુજરાતના ભવાઈ કલાકારો અને વિદ્વાનો અમારી પાસે આવ્યા ત્યારે અમને ખ્યાલ આવ્યો કે લોકશૈલી કેટલી મુક્તિ આપનારી છે. ભવાઈ અને લોકશૈલીઓ જ આપણા ભારતીય થિયેટરનો અસલી ચહેરો છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, લોકશૈલી માત્ર ઢોલક-નગારા વગાડવા પૂરતી સીમિત નથી. જ્યાં સુધી આપણે આપણી લોકશૈલીમાં આધુનિકતાના બીજ નહીં રોપીએ અને તેને વર્તમાન સમાજ સાથે નહીં જોડીએ, ત્યાં સુધી તે કલા જીવંત નહીં રહે. આપણે તેને એક મ્યુઝિયમની વસ્તુ બનાવવાને બદલે નવા વિચારો સાથે જોડીને આગળ વધારવી પડશે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 5:45 am

મહારાણી રાધિકારાજેની સોશિયલ મીડિયા પર પોસ્ટ:એક્ટર વિજય દેવેરકોંડાનો વાદળી રંગનો કોટ મહારાજાના ક્લોકની યાદ અપાવે છે

વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની રોયલ સ્ટાઈલ અને વારસાને યાદ કરતી એક રસપ્રદ પોસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે. મહારાણી રાધિકારાજે ગાયકવાડે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમણે મહારાજા સયાજીરાવની જન્મજયંતિ નિમિત્તે ડ્રેસિંગ સ્ટાઈલની વાત કરી છે. પોસ્ટમાં લખ્યું છે કે, તાજેતરના સમયમાં સાઉથ ફિલ્મ સ્ટાર વિજય દેવેરકોંડાના ગ્રૂમ લુકને પ્રશંસા મળી રહી છે. જે મહારાજા સયાજીરાવ ગાયકવાડના ક્લોકની યાદ અપાવે છે. મહારાણી રાધિકારાજે ગાયકવાડની પોસ્ટ અનુસાર, 1919માં બ્રિટિશ દ્વારા આપવામાં આવેલા ‘સ્ટાર ઓફ ઇન્ડિયા’ સન્માન સમયે મહારાજાએ પહેરેલો વાદળી રંગનો સિલ્ક ક્લોક ચર્ચિત રહ્યો હતો. તેઓ ‘ડ્રેસિંગની શક્તિ’ સારી રીતે સમજનારા મૂળ ‘મેઇન કેરેક્ટર’ હતા.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 5:43 am

યુનિવર્સિટીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો:દીવા નૃત્યથી શરૂઆત કરી શ્રીરામ ઉત્સવે દિવાળીનો માહોલ સર્જ્યો

આઇસીસીઆરના અમદાવાદ સ્થિત પ્રાદેશિક કાર્યાલયના સહયોગથી મ.સ.યુનિ. ના પંડીત દિનદયાન ઉપાધ્યાય ઓડિટોરીયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આઇસીસીઆરના પેનલ કલાકાર ભરત બારીયા, અક્ષય પટેલ અને નૃત્યાવલી ગ્રૂપે વિવિધ નૃત્ય પ્રસ્તુતિઓ આપી હતી. કાર્યક્રમની શરૂઆત આધ્યાત્મિક સ્પર્શ આપતા દીવા નૃત્યથી થઈ, ત્યારબાદ ભક્તિભાવથી ભરપૂર કૃષ્ણા વંદના રજૂ કરવામાં આવી. અંતે ‘અસવાર આયો રે’ અને ‘શ્રીરામ ઉત્સવ’ની રજૂઆતથી દિવાળીનો માહોલ સર્જ્યો હતો. ગુજરાતના એકમાત્ર ‘નૃત્યાવલી ગ્રૂપે’ અયોધ્યા રામ મંદિરમાં ‘શ્રીરામ ઉત્સવ’ નૃત્યની રજૂઆત કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કલાકારોના સજીવ અભિનય, લોકસંગીત અને પરંપરાગત વેશભૂષાઓએ આકર્ષણ જમાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 5:42 am

હોળી રસિયાનો કાર્યક્રમન યોજાયો:બેઠક મંદિર ખાતે વૈષ્ણવ પર ફૂલોની વર્ષા કરી ફૂલ ફાગનો મનોરથ યોજાયો

વૈષ્ણવોની સૌપ્રથમ હવેલી બેઠક મંદિર ખાતે‌ પૂ. રશ્મિકા વહુજીના જન્મદિન નિમિત્તે રંગા રંગ કાર્યક્રમ યોજાયો હતો. ગોસ્વામી ડો.વાગીશ કુમારજી મહારાજ, વહુજી, લાલન વેદાંતકુમારજી મહોદય , સિદ્ધાંત કુમાર‌જી મહોદયની ઉપસ્થિતિમાં રસિયાનું આયોજન કરાયું હતું જેમાં રસિયા ગાન સંગીતના સથવારે મનહર ગાંધર્વ ગ્રૂપ દ્વારા રમઝટ જમાવી હતી. ફૂલોની વર્ષા વૈષ્ણવ ઉપર વરસાવીને અનેરો ફૂલ ફાગ મનોરથ સાથે વ્રજના રસિયાની ભારે રમઝટ જમાવી હતી. જેમાં મહિલાઓ ગ્રૂપમાં રાધાકૃષ્ણના પાત્રને વિશેષ નૃત્યાંગનો દ્વારા પ્રસ્તુતિ દ્વારા પ્રભુ કૃષ્ણને રાધાની લીલાઓને યાદ છતી થઈ. પૂજ્ય અમ્માજીને જન્મદિનની મંગલ વધાઈ આપવા માટે વહેલી પરોઢથી જ સાંજ સુધી દેશ વિદેશના વૈષ્ણવો આવ્યા હતા. કાંકરોલી યુવરાજ પૂજ્ય સિદ્ધાંતકુમારજી મહોદય વૈષ્ણવને જણાવ્યું કે ગમે તેટલો સંઘર્ષ હોય પણ જીવનમાં આનંદ અને ઉત્સાહ છોડવો નહીં. રંગપંચમી શબ્દ રંગ અને પંચમીના સમૂહથી બનેલો છે. સામાજિક એકતા રંગોની નીચે દરેક માનવી સમાન લાગે છે. હવામાં ઉડતો ગુલાલ અબીલ નકારાત્મક ઊર્જાને દૂર કરી હકારાત્મકતા ફેલાવે છે. વિવિધ વૈષ્ણવ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા .

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 5:38 am

સર સયાજીરાવ ગાયકવાડને પુષ્પાજંલિ અર્પણ કરાઈ:મહારાજ સાહેબથી પ્રેરણા લઈ શહેરને સુંદર અને વ્યવસ્થિત બનાવી શકીએ છે: રાજમાતા

વડોદરાના દિર્ઘદ્રષ્ટા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનો બુધવારે 164ની જન્મ જયંતી હતી. આ અવસરે કિર્તી મંદિર ખાતે શ્વરાજંલિ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું. કાર્યક્રમમાં રાજમાતાએ મહારાજાની પ્રતિમા પર પુષ્પહાર ચડાવીને તેમને પુષ્પાજંલિ અર્પણ કરી હતી. તો આ સાથે મ્યુઝિક કોલેજના વિદ્યાર્થીઓએ સંગીત દ્વારા મહારાજાના શ્વરાજંલિ આપી હતી. આ કાર્યક્રમમાં ભાજપના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા અને તેઓએ પુષ્પાજંલિ આપી હતી. રાજમાાતાએ મીડિયાને જણાવ્યું હતું કે, આજે મહારાજાનો 164મો જન્મ દિવસ છે.મને આનંદ છે કે,શહેરના વરિષ્ઠ નાગરિકો આવ્યા અને મહારાજા સાહેબને પુષ્પાજંલિ આપી. આ આનંદના અવસરમાં અમે તેમના કામને યાદ કરીએ છે. તે કામની જ પ્રેરણા લઈને આપણા શહેરને સુંદર અને વ્યવસ્થિત બનાવી શકીએ, તેવી હું આશા વ્યક્ત કરુ છું. આ સાથે સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્ય ફેકલ્ટીમાં પણ પુષ્પાજંલિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સિટીના સત્તાધીશો અને પ્રોફેસરો દ્વારા સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પહાર ચડાવીને પુષ્પાજંલિ આપી હતી. ઉપરાંત સયાજી હૉસ્પિટલ, કાલાઘોડા ખાતે પણ પુષ્પાજંલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 5:37 am

77 વિદ્યાર્થીઓની ફી સંપૂર્ણ માફ કરાઈ:મ.સ.યુનિ.ના 1789 વિદ્યાર્થીઓને 95.12 લાખની શિષ્યવૃત્તિ

મ.સ.યુનિ.માં 2025-26ની ડીએસડબલ્યુ સ્કોલરશીપ આપવામાં આવી હતી. 1789 વિદ્યાર્થીઓને 95.12 લાખ સ્કોલરશીપ આપી છે. માતા કે પિતા ન હોય તેવા કિસ્સામાં 77 વિદ્યાર્થીઓને સંપૂર્ણ ફી માફી અપાઇ છે. એક હેન્ડીકેપ વિદ્યાર્થીને સંપૂર્ણ સ્કોલરશીપ આપવામાં આવી છે. યુનિવર્સિટીમાં 2012-13માં ડીએસડબલ્યુની સ્કોલરશીપની શરૂઆત કરવામાં આવી હતી. 1789માંથી 1306 ગ્રાન્ટ ઇન એઇડના તથા 483 હાયર પેમેન્ટ કોર્સના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી છે. એમ.એસ.યુનિવર્સિટીમાં તમામ કેટેગરીના જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓ માટે આ સ્કોલરશીપ સ્કીમની શરૂઆત કરવામાં આવી હતી. દર વર્ષે વિદ્યાર્થીઓ દ્વારા આના માટે અરજી કરતાં હોય છે અને તેના આધારે વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ ફાળવવામાં આવતી હોય છે. કમિટી દ્વારા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટના આધારે તેમને સ્કોલરશીપની રકમ ફાળવતા હોય છે. 2025-26નું શૈક્ષણિક વર્ષ પૂરું થવા આવ્યું ત્યારે સ્કોલરશીપની રકમ વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવી છે. યુનિવર્સિટીની 14 ફેકલ્ટી 2 કોલેજના મળીને 1789 વિદ્યાર્થીઓને 95.12 લાખની રકમ ચૂકવવામાં આવી છે. જેમાં 868 વિદ્યાર્થીઓ અને 921 વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. ગત વર્ષે 1552 વિદ્યાર્થીઓને 91.27 લાખ રૂપિયાની રકમની સ્કોલરશીપ આપવામાં આવી હતી. ચાલુ વર્ષે 237 વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. સૌથી વધારે કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ ચૂકવામાં આવી હતી. ટેકનોલોજી ફેકલ્ટીના 204 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી હતી. રાજય સરકારે ડિજીટલ ગુજરાત, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના જેવી સ્કોલરશીપની સંખ્યા વધતા ડીએસડબલ્યુમાં પણ લાભ મળ્યો છે. ગત વર્ષ કરતાં વધુ વિદ્યાર્થીને આ વર્ષે ડીએસડબલ્ય મળી છે. જરૂરીયાતમંદ સુધી મદદ પહોંચી છે. 2018-19માં સૌથી વધુ 3537ને સ્કોલરશિપ મળી કઇ ફેકલ્ટીના કેટલા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 5:35 am

અનોખો વિરોધ:હવે ભ્રષ્ટાચારીઓને વહીવટ ન મળે તેવી પ્રાર્થના સાથે પાલિકાની કચેરીની આરતી

પાલિકામાં ચૂંટાયેલી પાંખે 5 વર્ષની ટર્મ પૂરી થતાં વિદાય દીધી છે. ત્યારે સામાજિક કાર્યકરોએ પાલિકાના ગેટ બહાર અનોખો વિરોધ કર્યો છે. નવા બોર્ડમાં નિષ્ઠાવાન વ્યક્તિઓ આવે અને ભ્રષ્ટાચારીઓ દૂર થાય તેવી પ્રાર્થના સાથે સામાજિક કાર્યકરોએ આરતી કરી હતી. 2021ની ચૂંટણી બાદ ભાજપનું બોર્ડ બન્યું હતું. 5 વર્ષમાં ભાજપ બોર્ડમાં અનેક વિવાદો થયા હતા. પ્રજા હજી પણ ગંદા પાણી, તૂટેલા રોડ, રોડના ખાડા, ઉભરાતી ડ્રેનેજ જેવી સમસ્યાઓથી પરેશાન છે. શહેરમાં અસંખ્ય ફરિયાદો અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ચૂંટાયેલી પાંખે 5 વર્ષ પૂર્ણ કર્યા છે. તો હવે ફરીથી આ બોર્ડ ન આવે તેવી પ્રાર્થના થઈ રહી છે. સામાજિક કાર્યકરોએ પાલિકાની કચેરી બહાર ગેટ પર પૂજા કરી આરતી કરી અનોખો વિરોધ કર્યો હતો. પાલિકાના ગેટ પર હારતોરા અને પુષ્પો નાખી પ્રભુને પ્રાર્થના કરી હતી. સામાજિક કાર્યકરોનું કહેવું હતું કે, પાલિકામાંથી ભ્રષ્ટાચારીઓએ વિદાય લીધી છે. જેથી હવે નવા બોર્ડમાં નિષ્ઠાવાન લોકો આવે, વડોદરા વિશે વિચારધારા લોકો આવે તેમ જ પાલિકામાં નૈતિક શાસન જળવાઈ તે માટે પ્રભુને પ્રાર્થના કરી છે. તેઓએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, પાલિકા સંકુલમાં પૂજા વિધિ કરવી હતી પરંતુ સિક્યુરિટી તેમને રોક્યા હતા.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 5:30 am

આગ લાગી:મહેતાપોળના ઘરમાં ચાઇનીઝ પંખાનું ચાર્જિંગ ચાલુ રહી જતાં બેટરી ફાટીને આગ ભભૂકી ઉઠી

મહેતાપોળના ઘરમાં બુધવારે અચાનક લાગ લાગી હતી, જેમાં ઘરમાં મીટર-ઇન્વર્ટર સહિતનું ફર્નિચર ખાખ થયું હતું. ઘરમાં રહેતા વૃદ્ધા ત્વરિત નીકળી જતાં બચ્યા હતાં. આગની જાણ ફાયરબ્રિગેડને કરાતાં ટીમે આવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગનું કારણ ચાઇનિસ પંખો હોવાનું બહાર આવ્યું હતું. મોટા મેદાન પાસેના ઘરમાં બપોરે 12.30ના સુમારે આગ લાગી મીટર સુધી પહોંચી હતી. પરિવારજને જણાવ્યું કે, આગ ઇન્વર્ટરથી લાગી હોવાનું જણાયું હતું પણ નિરિક્ષણ કરતા ચાઇનિસ પંખો ચાર્જિંગમાંથી કાઢવાનો રહી જતાં પહેલા બેટરી અને પછી આગ ફાટી નીકળી હોવાનું જણાયું હતું. પંખો મૂક્યો હતો તે ટેબલ અને આસપાસની દીવાલ કાળીમેશ થઇ ગઇ હતી. પરિવારજન ગોપાલ શાહે કહ્યું કે, ચાઇનિઝ સાધનો હું તો લાવતો નથી પણ લોકોને પણ વિનંતી કરુ છું કે આવા સાધનો આ રીતે ભારે પડી શકે છે. કાશીવિશ્વનાથ-કેવડાબાગ પાસે 2 ઘરોમાં ગેસ લીકેજ થયોકેવડાબાગ પાસે મકાનમાં રાત્રે 11 વાગ્યે ગેસ બોટલ લિકેજ થતાં પરિવારે અગાસી પર મૂકી દીધો હતો. બીજા એક કિસ્સામાં કાશીવિશ્વનાથ મંદિર સામે બંધ ઘરમાંથી ગેસની ગંધ આવતાં તપાસ કરતાં ગેસનો સિલિન્ડર લિકેજ થયો હોવાનું જણાયું હતું. લક્ષ્મીપુરાના એટલાન્ટિસ ફ્લેટ્સમાં 15 મીટરો ખાખલક્ષ્મીપુરા એટલાન્ટિસ ફ્લેટ્સમાં બુધવારે સાંજે 5 વાગ્યે 15 મીટરોમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. મહાબલીપુરમ નજીક થાંભલાના વાયરોમાં આગ જ્યારે બપોરે દોઢ વાગ્યે બાલભવન પાસે કચરામાં આગ લાગતાં ફાયરબ્રિગેડે બુઝાવી હતી. બેટરીના કેમિકલ ગરમ થતાં હાઇડ્રોજનથી બ્લાસ્ટ થાય છેબેટરી ઓવરહીટ થાય ત્યારે કેમિકલ ગરમ થાય છે. હાઇડ્રોજન-ઓક્સિજન પેદા થતાં ગરમીથી બ્લાસ્ટ થાય છે. નાના ચાઇનિસ પંખાનું ચાર્જિંગ 6થી 8 કલાકનું છે. વધુ ચાર્જિંગ થાય તો આમ થાય છે. > દક્ષેસ દવે, એકસપર્ટ

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 5:28 am

પાલિકાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસની તૈયારી શરૂ:કોંગ્રેસમાં ક્યુઆર કોડથી ભરતી, નવો સભ્ય સક્ષમ ઠરશે તો ચૂંટણી લડાવશે

પાલિકાની ચૂંટણી આવતા જ કોંગ્રેસ સક્રિય થઈ છે. શહેરને સમસ્યાઓમાંથી ઉગારવા પ્રબુદ્ધ નાગરિકો અને વિદ્યાર્થીઓને જોડી, ઉમેરવારી કરવા કોંગ્રેસે આહવાન કર્યું હતું. લોકો કોંગ્રેસ સાથે જોડાય તે માટે ક્યુઆર કોડ જાહેર કર્યો છે. પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ, પૂર્વ મંત્રી અને વડોદરાના પ્રભારી બિમલ શાહ તેમજ અમદાવાદ પક્ષના ઉપનેતા નીરવ બક્ષી વડોદરા આવ્યા હતા. તેઓએ પ્રબુદ્ધ નાગરિકો અને વિદ્યાર્થીઓને ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી હતી. બિમલ શાહે કહ્યું કે, પાલિકાના હાલના બોર્ડથી નાગરિકો ત્રસ્ત છે, 13, 14 અને 15 માર્ચે ઉમેદવારી કરનાર કાર્યકરોને સાંભળીશું. દરેક વૉર્ડમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારી થઇ છે. અમને આશા છે કે પાલિકામાં કોંગ્રેસનો તિરંગો લાગશે. બિમલ શાહે માન્યું કે, અત્યાર સુધી અમે લોકો સુધી પહોંચી શક્યા નથી. બુથ લેવલે કામ શરૂ થયું છે, જનતાનો રોષ જોઈ લાગે છે કે લોકો જોડાશે અને પાલિકામાં કોંગ્રેસનું બોર્ડ બનશે. વોર્ડ 14માં સૌથી વધુ 24 કાર્યકરોએ ઉમેદવારી કરી નવાને જોડવાથી જૂના નારાજ થશે તેવી સ્થિતિ, પ્રભારીએ કહ્યું, કાર્યકરો સાથે મનોમંથન કર્યું છેકોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટેની સ્થિતિ છે. ઉમેદવારોના નામ જાહેરાત થતાં જ કકળાટ શરૂ થતો હોય છે. આ વખતે કોંગ્રેસ નવા લોકોને જોડી ઉમેદવાર બનાવશે. તેવામાં ફરી ડખા શરૂ થશે તેવું જાણકારો માને છે. સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદમાં પ્રભારી બિમલ શાહને પૂછાયું હતું કે, નવા ઉમેદવારો બનશે તો જૂના નારાજ નહીં થાય? જવાબમાં તેઓએ જણાવ્યું કે, હોદ્દેદારો અને કાર્યકરો સાથે મનોમંથન કર્યું છે. સક્ષમ હશે તેને ટિકિટ અપાશે, ભલે તેઓ નવા હોય.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 5:25 am

પ્રજાજન પરેશાન:બુકિંગના 15 દિવસે ગેસ સિલિન્ડર ન મળતા પાણીગેટમાં લાઈનો પડી, રાંધવાની વ્યવસ્થામાં લોકો ગરમીમાં શેકાયા

ઈરાન-ઇઝરાયેલ-અમેરિકા વચ્ચે યુધ્ધ વચ્ચે કોમર્શીયલ સિલિન્ડર સાથે ઘરેલું ગેસના સિલિન્ડરો પણ 15 દિવસ સુધી ન મળતા બુધવારે પાણીગેટની ભારત પેટ્રોલીયમની ગાયત્રી ગેસ એજન્સી બહાર લોકોની લાઈનો જોવા મળી હતી. ગ્રાહકોએ જણાવ્યું કે, પહેલા ઓનલાઈન ગેસની નોંધણી થતી હતી ત્યારે બેથી ત્રણ દિવસમાં સિલિન્ડર ઘરે આવી જતો હતો. 15 દિવસથી સિલિન્ડર મળતો નથી. ઓનલાઈન નોંધણી બંધ કરી દેવાઇ છે. પુરવઠા વિભાગ અનુસાર, યુધ્ધ પહેલાં પ્રતિદિન 8 હજાર બુકિંગ સામે, હાલ રોજના 12 હજાર બુકિંગ થાય છે. ગાયત્રી ગેસ એજન્સી બહાર સવારે 7 વાગ્યાથી ઉભેલા લોકોએ જણાવ્યું કે, 15 દિવસ પહેલાંથી સિલિન્ડર બુક કર્યો પરંતું સિલિન્ડર ન આવતા અમે એજન્સીમાં આવ્યાં છે. એજન્સી પુરતો સ્ટોક ન હોવાનું જણાવે છે. આવ્યાં ત્યારથી રસીદ આપી છે, જેનાથી ગોડાઉન પરથી સિલિન્ડર લેવા માટે જઈશું. બાળકોની પરીક્ષાઓ ચાલી રહી છે, ધંધા રોજગાર છે. આ તમામ વચ્ચે સમય બગાડીને અમારે સિલિન્ડર લેવા માટે એજન્સીમાં આવવું પડ્યું છે. શહેરમાં ઘરેલું ગેસનો જથ્થો પૂરતો ઉપલબ્ધ છે, ગ્રાહકો ગભરાટમાં બુકિંગ ના કરાવે : કલેક્ટરકેન્દ્ર સરકારે એસ્મા લાગુ કર્યા બાદ કલેક્ટરે બુધવારે ગેસ ઉત્પાદકો, વિતરકો, મામલતદારો સાથે બેઠક કરી ખાતરી આપી છે કે, શહેર-જિલ્લામાં ઘરેલું ગેસના ગ્રાહકોને 25 દિવસના અંતરાલે સિલિન્ડર મળશે. ગેસનો પૂરવઠો યોગ્ય માત્રામાં છે. કલેક્ટરે કાળાબજારી, સંગ્રહખોરી કરતા તત્વોને ડામવા માટે ટીમોનું ગઠન કરવાની સૂચના આપી છે. કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારી ગીતા દેસાઈ દ્વારા બુધવારે આઈઓસીએલ, બીપીસીએલ, એચપીસીએલના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બુકિંગની સિસ્ટમ માત્ર ધીમી પડી છેબુકિંગની સિસ્ટમ ધીમી પડી હતી. જેના કારણે બુકિંગ થયા ન હતાં. આ કારણે લોકો પેનીક થઈને એજન્સી ખાતે સિલિન્ડર લેવા પહોચી ગયા હતાં. જોકે લોકોને ઘરેલું ગેસ સિલિન્ડર મળી ગયા છે. > હિમાંશુ પરીખ, સંચાલક, ગાયત્રી ગેસ એજન્સી સિલિન્ડર નહી મળે તેવું માની લોકો બીજો સિલિન્ડર ભરાવીને રાખી રહ્યાં છેઅમેરિકા-ઈરાન યુધ્ધ વચ્ચે શહેરમાં કોમર્શીયલ સિલિન્ડર બાદ ઘરેલું ગેસ સિલિન્ડરોની પણ અછત ઉભી થશે તેવી અફવામાં લોકો પોતાના ઘરમાં રહેલો બીજો સિલિન્ડર પણ ભરાવીને રાખી રહ્યાં છે. સરકારે હાલ 25 દિવસ બાદ બીજો સિલિન્ડર બુક કરી શકાસે તેવી સિસ્ટમ લાગુ કરી દિધી છે. જોકે પરિવારો 25 દિવસ બાદ બીજો ખાલી સિલિન્ડર ભરાવીને રાખી રહ્યાં છે. આ ઉપરાંત હાલ મહોરમનો તહેવાર ચાલી રહ્યો છે.તેવામાં મુસ્લિમ સમાજના ઘરોમાં સિલિન્ડરનો વપરાશ વધી જતા તેવા પરિવારોમાં પણ સિલિન્ડર રિફિલ કરાવવા માટે બુકિંગ કરાવી રહ્યાં છે. જેના કારણે ઘરેલું ગેસની માંગ એકાએક વધી ગઈ છે.જ્યારે લોકોએ ગેસ ઉપરાંત વિજળીથી ચાલતા ઈન્કશન પણ વસાવી લીધા છે. બીજી તરફ કલેક્ટરે મામલતદાર કક્ષાની ટીમો બનાવી ફિલ્ડ સ્તરે મોનિટરિંગ કરાશે. જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પણ સ્ટોક પોઝિશન અંગે નિયમિત સમીક્ષા કરી રહ્યાં છે. ગેરરીતિ, ડાયવર્ઝન કે બ્લેક માર્કેટિંગ સામે આવશે તો કાર્યવાહી કરવામાં આવશે. કોમર્શિયલ ઉપયોગ માટે જથ્થો મર્યાદિત હોવાથી પ્રાથમિકતાઓ નક્કી કરીને સપ્લાય સુનિશ્ચિત કરાશે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 5:22 am

સિટી એન્કર:સ્કૂલનું બાથરૂમ ગંદુ હોવાથી છાત્રા જતી ન હતી, ધો.9નો વિદ્યાર્થી વોશરૂમમાં કોઇ હોય તો રોકી રાખતો, બન્નેને કિડનીના રોગ થયા

શહેરની સ્કુલોમાં ગંદા બાથરૂમ-ટોયલેટના કારણે 12 વર્ષની વિદ્યાર્થીનીને લેઝી બ્લેડર સિન્ડ્રોમનો કિડનીનો રોગ થયો હતો. રેર ગણાતા આ સિન્ડ્રોમમાં વિદ્યાર્થીની સ્કુલમાં ગંદા ટોયલેટના કારણે યુરીન ન જતા તેનું મુત્રાશય 400 એમએલની ક્ષમતા સામે 1 લીટરની ક્ષમતા જેટલું પહોળું થઈ ગયું હતું. જેથી તેને પેશાબમાં ઈન્ફેક્શન થઈ ગયું હતું. અન્ય એક કિસ્સામાં ધો.9માં ભણતા વિદ્યાર્થીને શાય બ્લેડર સિન્ડ્રોમ થયો હતો. તે પેશાબ કરવા જાય અને આસપાસ કોઈ બાળક પેશાબ કરતો હોય તો તે પેશાબ જતો ન હતો. જેના કારણે તેના મુત્રાશયમાં ઈન્ફેક્શન થઈ ગયું હતું. આ બંને કિસ્સામાં વડોદરાના યુરોલોજિસ્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડૉ. હરેશ ઠુમ્મરે બાળકોની સારવાર કરી હતી. વર્લ્ડ કિડની ડેનો ઉદ્દેશ સમાજમાં કિડનીના રોગમાં જાગૃતિ લાવવાનોદર વર્ષે માર્ચના બીજા ગુરુવારે વર્લ્ડ કિડની ડે ઉજવાય છે. 2026ની થીમ ‘કિડની હેલ્થ ફોર ઓલ-કેરિંગ ફોર પીપલ, પ્રોટેક્ટિંગ ધ પ્લેનેટ’ છે. જેનો ઉદ્દેશ કિડનીના રોગ વિશે જાગૃતિ વધારવાનો છે. કિડનીના રોગો ઝડપથી વધે છે. વિશ્વમાં લગભગ દર 10માંથી 1 વ્યક્તિ કિડનીના કોઈને કોઈ રોગથી પીડાઈ રહ્યાં છે. > ડૉ. હરેશ ઠુમ્મર, યુરોલોજિસ્ટ, ટ્રાન્સપ્લાન્ટ સર્જન લેઝી બ્લેડર સિન્ડ્રોમના રોગના આ મુખ્ય લક્ષણો

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 5:18 am

અધૂરી કામગીરીથી લોકો થયા પરેશાન:માલપુરના ઉભરાણ-ગોતાપુર એપ્રોચ રોડની અધૂરી કામગીરીજલ્દી પૂર્ણ કરો

માલપુર તાલુકાના ઉભરાણથી ગોતાપુર અને દેવળીયા હનુમાનજી મંદિરને જોડતા વર્ષો જૂના રસ્તાને ડામર રોડ બનાવવાની કામગીરી છેલ્લા એક વર્ષથી ચાલી રહી છે, પરંતુ હજુ સુધી આ કામ અધૂરું હોવાથી સ્થાનિક ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકના આ રસ્તા પર કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલતી હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. આ વિસ્તારના ખેડૂતોની માંગ છે કે બાયડ-માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા આ બાબતે અંગત રસ લઈ યોગ્ય કાર્યવાહી કરાવે. ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે આગામી ચોમાસા પહેલા તંત્ર દ્વારા આ રસ્તાની તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવે જેથી ખેતીકામ અને અવર-જવરમાં પડતી અડચણો દૂર થાય. મુખ્ય સમસ્યાઓ

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 5:03 am

કેબલ ચોર પોલીસના સકંજામાં:શામળાજી પોલીસે કેબલ ચોર આરોપી ઝડપી લીધો

શામળાજી પોલીસે તાજેતરમાં થયેલી કેબલ વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલ નાખીને ગલિસેમરો ગામના આરોપીને તેના જ ગામમાંથી રૂપિયા 10500ની કિંમતના કેબલ વાયરના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ચોરી તસ્કરી જેવા અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આપેલી સૂચનાના ભાગરૂપે શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને પીઆઈએસએસ માલ એ આપેલા માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન એએસઆઇ રસિકભાઈ કાવજીભાઈ ને ખાનગી માહિતી મળી હતી કે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇલેક્ટ્રિકલ મોટર કેબલ વાયરની ચોરી થઈ હતી અને તેનો ગુનો પણ નોંધાયો હતો. ગલીસેમરો ગામનો ભરતભાઈ કાંતિભાઈ ભગોરા રહે ગલી સેમેરો તાલુકો શામળાજી જીલ્લો અરવલ્લી હોવાની હકીકત જાણવા મળતા પોલીસે ઉપરોક્ત આરોપી ને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તેણે ચોરીના ગુનાને કબુલાત કરી હતી.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 5:02 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:થાઈલેન્ડથી કંડલા પોર્ટ આવી રહેલા જહાજ પર હુમલો; દેશમાં પહેલીવાર ઈચ્છામૃત્યુની પરવાનગી; દેશભરમાં LPGની અછત; IPL શેડ્યૂલ જાહેર

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ભારત આવી રહેલા થાઈ જહાજ પર થયેલા હુમલાના છે. બીજા સમાચાર દેશમાં પ્રથમ વખત મળેલી ઈચ્છામૃત્યુની પરવાનગી સાથે જોડાયેલા છે. સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે IPLની પ્રથમ મેચ ક્યાં યોજાશે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. સંસદમાં બજેટ સત્રના બીજા તબક્કાનો ચોથો દિવસ છે. ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવી દેવાતા હોબાળો થઈ શકે છે. કાલના મોટા સમાચારો 1. ભારત આવી રહેલા થાઈલેન્ડના જહાજ પર હોર્મુઝ સ્ટ્રેટમાં હુમલો, ઓમાનના નૌકાદળે 20 ક્રૂ મેમ્બરનું રેસ્ક્યુ કર્યું, ત્રણ લોકો ગુમ મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાં થાઈલેન્ડના એક કાર્ગો જહાજ પર હુમલો થયો છે. ઓમાન નજીક જઈ રહેલા આ જહાજને પ્રોજેક્ટાઈલ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું, ત્યારબાદ થાઈ નૌકાદળે બચાવ અભિયાન શરૂ કર્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, થાઈ ધ્વજ ધરાવતું બલ્ક કેરિયર 'માયુરી નારી' ઓમાનની ઉત્તરે લગભગ 11 નોટિકલ માઈલ દૂર હતું, ત્યારે તેના પર હુમલો થયો હતો. થાઈ મીડિયા રિપોર્ટ્સ મુજબ, જહાજ પર સવાર 20 ક્રૂ મેમ્બર્સને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે ત્રણ લોકો હજુ પણ જહાજ પર હોવાનું કહેવાય છે. રોયલ થાઈ નેવીએ જણાવ્યું છે કે તેઓ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે મળીને જહાજ અને ક્રૂની મદદ કરી રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ઇચ્છામૃત્યુનો ચુકાદો સંભળાવતા ભાવુક થયા જસ્ટિસ પારડીવાલા:SCએ 13 વર્ષથી કોમામાં રહેલા હરીશ રાણાને મંજૂરી આપી, આ પ્રકારનો દેશમાં પહેલો કિસ્સો સુપ્રીમ કોર્ટે બુધવારે 31 વર્ષના એક યુવકને ઈચ્છામૃત્યુની મંજૂરી આપી છે. ગાઝિયાબાદના રહેવાસી હરીશ રાણા છેલ્લા 13 વર્ષથી કોમામાં છે. હરીશ હાલ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે અને દેશમાં આ પ્રકારનો આ પ્રથમ કિસ્સો છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે એઈમ્સ (AIIMS)ને નિર્દેશ આપ્યો છે કે, હરીશ રાણાને પેલિએટિવ કેર (Palliative Care)માં દાખલ કરવામાં આવે, જેથી જીવનરક્ષક સારવારને તબક્કાવાર રીતે હટાવી શકાય. વાંચો સંપૂર્ણ સમાચાર 3. દેશભરમાં LPGની અછત, એજન્સીની બહાર લાંબી લાઈન:UP-બિહારમાં પોલીસ સુરક્ષામાં સિલિન્ડર વહેંચાઈ રહ્યા છે, રાજસ્થાનમાં કાળાબજારી શરૂ અમેરિકા-ઇઝરાયલના ઇરાન સાથેના યુદ્ધને કારણે દેશભરમાં LPGની અછત સર્જાઈ રહી છે. ગેસ સિલિન્ડર લેવા માટે એજન્સીઓ પર લાંબી લાઈનો લાગી છે. દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિત ઘણા રાજ્યોએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના સપ્લાય પર પ્રતિબંધ મૂકતા હોટલો અને રેસ્ટોરન્ટમાં ભોજન બની શકતું નથી. કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો સપ્લાય ઠપ થવાથી સૌથી મોટો સંકટ હોટલ-રેસ્ટોરન્ટ પર છે. જ્યારે ઘરેલું રસોઈ ગેસ લેવા માટે ગેસ એજન્સીઓની બહાર લાંબી લાઈન લાગી છે. જે ઘરોમાં લગ્ન છે, તેઓ તણાવમાં છે. એકલા ભોપાલમાં જ 20 દિવસમાં એક હજારથી વધુ લગ્નો છે. કેટરર્સનું કહેવું છે કે આ ઇમરજન્સી જેવી સ્થિતિ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. JKના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લા પર ફાયરિંગનો પ્રયાસ, VIDEO:હુમલાખોરે માથા પર બંદૂક તાકી, સુરક્ષાકર્મીઓએ બચાવ્યા; ડેપ્યુટી સીએમ સુરિન્દર ચૌધરી પણ હાજર હતા જમ્મુમાં નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા પર બુધવારે મોડી સાંજે ફાયરિંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અબ્દુલ્લા ગ્રેટર કૈલાશ વિસ્તારમાં એક લગ્ન સમારોહમાં પહોંચ્યા હતા. તેમની સાથે જમ્મુ-કાશ્મીરના ડેપ્યુટી સીએમ સુરિન્દર ચૌધરી પણ હાજર હતા. ઘટનાનો સીસીટીવી પણ સામે આવ્યો છે. તેમાં જોઈ શકાય છે કે જ્યારે ફારૂક અબ્દુલ્લા લગ્નમાંથી જઈ રહ્યા હતા ત્યારે હુમલાખોર કમલ સિંહ જમ્વાલે પાછળથી આવીને અબ્દુલ્લાના માથા પર બંદૂક તાકી દીધી અને ગોળી ચલાવવાનો પ્રયાસ કર્યો. જોકે, તેમની સાથે હાજર સુરક્ષાકર્મીઓએ તેમને બચાવી લીધા અને હુમલાખોરને પકડી લીધો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે અને હુમલા પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર… 5. ઓમ બિરલા પરથી ઘાત ટળી!:સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ નામંજૂર, અમિત શાહ બોલ્યા- જે આંખ મારે છે, ફ્લાઈંગ કીસ આપે છે તે સ્પીકર પર સવાલ ઉઠાવે છે લોકસભામાં બુધવારે સ્પીકર ઓમ બિરલાને પદ પરથી હટાવવાનો અવિશ્વાસ પ્રસ્તાવ ધ્વનિમતથી ફગાવી દેવામાં આવ્યો. તેમના પર ગૃહની કાર્યવાહી દરમિયાન ભેદભાવ કરવાનો આરોપ હતો. આ પહેલા ગૃહમંત્રી અમિત શાહે 56 મિનિટ સુધી જવાબ આપ્યો. તેમણે આ દરમિયાન રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા અને ગણાવ્યું કે 17મી, 18મી લોકસભામાં બોલવા માટે કેટલો સમય મળ્યો. તેમણે સ્પષ્ટ કહ્યું કે ગૃહ નિયમ મુજબ ચાલશે. સ્પીકરને નિયમોના ઉલ્લંઘન પર રોકવાનો અને ટોકવાનો અધિકાર છે. આ ગૃહ મેળો નથી, જે નિયમ મુજબ નહીં ચાલે, તેમનું માઈક બંધ થશે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. IPLની શરૂઆતની 20 મેચનું શેડ્યૂલ જાહેર:28 માર્ચે બેંગલુરુમાં RCB-SRHની ઓપનિંગ મેચ, ગયા વર્ષે વિક્ટ્રી પરેડમાં ત્યાં જ નાસભાગ મચી હતી BCCIએ IPL 2026ની શરૂઆતની 20 મેચનું શેડ્યૂલ જાહેર કર્યું છે. બુધવારે જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ, ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત 28 માર્ચે ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચથી થશે. દેશના 5 રાજ્યોમાં ચૂંટણીને કારણે IPLની ઓપનિંગ મેચ બે દિવસ લંબાવવામાં આવી છે. અગાઉ લીગની શરૂઆત 26 માર્ચે થવાની હતી, પરંતુ હવે લીગ 28 માર્ચે થશે. ઓપનિંગ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. જ્યાં ગયા વર્ષે RCBની વિક્ટરી પરેડ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી અને 11 લોકોના મોત થયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 7. માર્ચના છેલ્લા વીકમાં UCC બિલ વિધાનસભામાં લાવવા તૈયારીઓ:ઈટાલિયાએ કહ્યું, હું 8 પાસ નથી, LLB છું; સંઘવીનો જવાબ 'ચોપડી ઓછી વાંચી, પણ જૂતું ફેંકવાનું શીખ્યા નથી' ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ બાદ આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવતા ગૃહમાં ભારે દલીલો અને રાજકીય ટીકા-ટિપ્પણીઓ જોવા મળી હતી. આ દરમિયાન ગોપાલ ઇટાલિયાએ ગૃહમાં નિવેદન આપતા કહ્યું હતું કે, હું 8 પાસ નથી, હું BA.LLB ભણેલો છું એટલે મારી જાતને હોશિયાર સમજું છું, પરંતુ હું કોઈને ખોટા બતાવીને પોતાને મોટો બનાવવા માંગતો નથી. તેમના આ નિવેદન બાદ ગૃહમાં ચર્ચા વધુ ગરમાઈ હતી. આ ચર્ચા દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટિપ્પણી કરતા જણાવ્યું કે, કોઈ સભ્યે કદાચ ચોપડીઓ ઓછી વાંચી હોય, પરંતુ અહીં કોઈને જૂતું ફેંકવાનું શીખવવામાં આવતું નથી. તેમના આ નિવેદનથી ગૃહમાં રાજકીય ચર્ચા વધુ ઉગ્ર બની હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 8. રૂ.70માં અનલિમિટેડ ટિફિન આપવું હવે નહીં પોસાય':સુરતની હોટેલોના મેનૂમાંથી ઈડલી-ઢોસા ગાયબ; ગ્રાહકે કહ્યું- ગેસના બાટલા નહીં મળે તો અમારે ગુજરાત છોડવું પડશે ઈરાન સાથે અમેરિકા-ઈઝરાયના ચાલી રહેલા યુદ્ધની અસર દુનિયાભરમાં દેખાવા લાગી છે. ગુજરાતમાં કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરતા રેસ્ટોરન્ટ અને લારીવાળાઓની મુશ્કેલીમાં પણ રાતોરાત વધારો થયો છે. ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના મતે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય ખોરવાતા જે રેસ્ટોરન્ટ પાસે પાઈપ ગેસની સુવિધા નથી તેઓની મુશ્કેલી વધી છે. તેમજ લારી-ગલ્લા વાળાની હાલત પણ કફોડી બની ગઈ છે. કેટરર્સ સંચાલકોએ પણ પોતાના ઓર્ડર પૂરા કરવા મુશ્કેલ બની શકે છે. ગેસ સપ્લાયની તંગી સર્જાવાને લઈ સ્થાનિકોએ અગાઉથી ગેસના બાટલા ઓનલાઈન બુક કરાવી દીધા હતા. જે બાદ આજે સવારથી અલગ અલગ શહેરોમાં ગેસ એજન્સી બહાર ગેસના બાટલા લેવા લોકોની લાઈનો લાગી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : PMએ કહ્યું- કેરળને મલયાલી નામ મળ્યું:આની ખુશી ચહેરાઓ પર દેખાઈ રહી છે; રાજ્યમાં લગભગ ₹11 હજાર કરોડની વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ઈરાનની ટોપ લીડરશિપ ખતમ, તો કેવી રીતે યુદ્ધ લડે છે?:7 ટુકડામાં તાકાત વહેંચી રાખી છે, દરેક પદ માટે 4 ઉત્તરાધિકારી પહેલેથી નક્કી વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : આસારામ રામલલાના દર્શન કરવા અયોધ્યા પહોંચ્યો:કહ્યું- તીર્થ સ્થળોએ જવાથી નરક ભોગવવું પડતું નથી, સારવાર માટે 6 મહિનાના જામીન પર છે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : 133 મુસાફરોના જીવ માંડ બચ્યા!:એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટનું લેન્ડિંગ દરમિયાન પૈડું નીકળી ગયું, નોઝ ગિયર તૂટતા થાઈલેન્ડમાં હાર્ડ લેન્ડિંગ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : રશિયા પાસેથી 3 કરોડ બેરલ ક્રૂડ ઓઇલ ખરીદશે ભારત:રિલાયન્સ-IOCએ બુકિંગ કર્યું, ઈરાન યુદ્ધ વચ્ચે સપ્લાય બંધ થયા બાદ નિર્ણય વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : પાકિસ્તાની બેટરને પછાડીને ઈશાન નંબર-1 બનવાની નજીક:સેમસનની પણ ICC રેન્કિંગ્સમાં લાંબી છલાંગ, હાર્દિકે કરિયરનું સર્વશ્રેષ્ઠ રેન્કિંગ મેળવ્યું વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ગુરુની બદલાતી ચાલ, પથ્થરમાંથી સોનું બનાવશે!: 120 દિવસનો સુવર્ણકાળ, અર્થતંત્રમાં સુધારો અને શેરબજારમાં તેજીના સંકેત વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ ખાડાના ઝટકાથી જીવ પાછો આવ્યો યુપીના પીલીભીતની એક મહિલાને બરેલીના ડોક્ટરોએ 'બ્રેન ડેડ' જાહેર કરી દીધી હતી. જ્યારે પરિવાર તેને ઘરે લઈ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં એમ્બ્યુલન્સ એક ખાડામાં ઉછળી, જેના કારણે મહિલાના શરીરમાં હલચલ થઈ અને શ્વાસ ચાલુ થઈ ગયા. હોસ્પિટલમાં 13 દિવસની સારવાર બાદ તે સાજી થઈને ઘરે પરત ફરી. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: 12 દિવસમાં ઈરાને અમેરિકાને કેટલું ઘાયલ કર્યું; 17 બેઝને નુકસાન થયું, 8 સૈનિકો માર્યા ગયા, દરરોજ અબજો ડોલરનો ખર્ચ થયો 2. મુંબઇમાં રોડ પર હાઇવોલ્ટેજ ડ્રામા વચ્ચે ગુજરાત પોલીસે મનીષસિંહને પકડ્યો: એક્ટ્રેસ મનીષા કોઇરાલાના સેક્રેટરીની હત્યામાં સંડોવણી, વેશ બદલી રવીના ટંડનના પતિના બારમાં કામ કર્યું 3. ભાસ્કર એક્સક્લૂસિવ : 'હોસ્ટેલ પાસે મિસાઈલો પડી, ખબર નથી બચીશ કે નહીં': તેહરાનમાં ચારે તરફ દારૂગોળો, મિડલ ઈસ્ટમાં ફસાયેલા 90 લાખ ભારતીયોને બચાવવા પડકાર 4. 'ઘરની હરાજી થશે તો મારે ઝેર ખાવાનો વારો આવશે': ફાયનાન્સ કંપનીની જીદ સામે લાચાર માતાની વેદના; પતિનું મોત, બે બાળકોની જવાબદારી, હવે મકાન છીનવાશે? 5. ભાસ્કર એક્સપ્લેનર માર્ચમાં આટલી ગરમી, એપ્રિલ-જૂનમાં શું થશે?: ગુજરાતમાં પારો 40 ડિગ્રીને પાર, આ વર્ષે વધારે ગરમી પડશે? ભાસ્કર એક્સપ્લેનરમાં 5 જરૂરી સવાલોના જવાબ 6. Editor’s View: ઈરાન યુદ્ધની આગ આપણાં રસોડાં સુધી પહોંચી: બાટલાની બબાલ વચ્ચે પાઈપ ગેસવાળાને પણ પરસેવા છૂટશે, ગેસની અછત પાછળના કારણોનું સચોટ એનાલિસિસ કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ: મિથુન-મકર રાશિ માટે 'ગોલ્ડન ડે', કુંભ અને ધન રાશિ લોકોના સંબંધોમાં આવશે મધુરતા વાંચો સંપૂર્ણ રાશિફળ

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 5:00 am

ઉ.ગુ.યુનિવર્સિટીનું રૂ. 167 કરોડનું બજેટ તૈયાર કરાયું:ઉ.ગુ. યુનિ. દ્વારા આ વર્ષે શૈક્ષણિક કાર્યની સુવિધાના બદલે સંશોધન અને સ્પોર્ટ્સ ક્ષેત્રે વિશેષ ખર્ચ કરાશે

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા વર્ષ 2026-27 માટે 38 વર્ષના ઇતિહાસનું સૌથી મોટું રૂ. 167 કરોડનું અંદાજિત બજેટ તૈયાર કરવામાં આવ્યું છે.જેમાં વહીવટમાં શિસ્ત અને પારદર્શકતા લાવવા માટે આ વખતે ''ડિમાન્ડ'' નહીં પણ ''નીડ'' બેઝ્ડ બજેટ ફાળવવાનો નિર્ણય લેવાયો છે. સૌથી મોટો ફેરફાર એ છે કે હવે વિભાગો સીધું પેમેન્ટ કરી શકશે નહીં, તમામ વ્યવહારો સેન્ટ્રલ એકાઉન્ટ વિભાગ હસ્તક રહેશે. કુલપતિની અધ્યક્ષતામાં મળેલી ફાઇનાન્સ કમિટીની બેઠકમાં પ્રાથમિક બજેટની સૂચિ રજૂ કરવામાં આવી હતી.જેમાં શૈક્ષણિક પાસાઓ કરતા સંશોધન અને રમતગમતની સુવિધાઓ વધારવા પર બજેટમાં વિશેષ ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવી છે. સાથે વિભાગોના બજેટમાં 30% જેટલો કાપ મુકાયો છે. વિભાગોની માગણી મુજબ નહીં પરંતુ તેની આર્થિક સ્થિતિ એટલે કે આવક અને ખર્ચને જોઈ જરૂરિયાત મુજબ બજેટની જ જોગવાઈ કરવામાં આવી છે. યુનિવર્સિટીમાં અત્યાર સુધી વિભાગો પોતાની રીતે નાણાકીય વ્યવહારો કરતા હતા, પરંતુ હવેથી તમામ વિભાગોએ પોતાના ખર્ચના બિલો નાણાં વિભાગમાં રજૂ કરવા પડશે. જો નિયમ મુજબનો વધુ ખર્ચ હશે તો તેની સત્તાવાર મંજૂરી વગર બિલ પાસ થશે નહીં, જેનાથી નાણાકીય ગેરરીતિઓ પર અંકુશ આવશે. ફાઇનાન્સ કમિટી દ્વારા સૂચવેલા સુધારા વધારા આધીન તૈયાર થયેલું બજેટ હવે આગામી બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મંજૂરી અર્થે મૂકવામાં આવશે. પ્રથમવાર બજેટ તજજ્ઞોની કમિટીએ તૈયાર કર્યું‎પ્રથમવાર કુલપતિ દ્વારા વિકાસલક્ષી અને જરૂરિયાત મુજબનું બજેટ તૈયાર થાય માટે તજજ્ઞોની કમિટી દ્વારા બજેટ બનાવવાનું આયોજન કરાયું છે. જેમાં CA અને ચીફ એકાઉન્ટ ઓફિસર , સિનિયર પ્રિન્સિપાલ સહિતના એ ફાઇનાન્સ તજજ્ઞ મળી 5 લોકોની કમિટી રચી બજેટ તૈયાર કરાયું છે. જેમાં દરેક વિભાગની આવક-ખર્ચનું ઊંડું એનાલિસિસ કર્યું છે. આ ઉપરાંત, દરેક વિભાગનું અલગથી ઓડિટ કરવામાં આવશે જે અત્યાર સુધી સંયુક્ત રીતે થતું હતું. આ નવી વ્યવસ્થાથી યુનિવર્સિટીની ગ્રાન્ટનો અને પૈસાનો સદુપયોગ સંશોધન અને વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓમાં વધુ થશે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:59 am

લાખોના દહેજની માંગણી કરાઈ:લંડન સ્થિત પતિએ પરિણીતા પાસે વિઝા રીન્યૂઅલના બહાને 8 લાખ દહેજ માગ્યું

પ્રાંતિજ તાલુકાના બાકરપુરની 21 વર્ષીય પરિણીતાએ તેના લંડન સ્થિત પતિ અને સ્થાનિક સાસરીયાઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાનો આરોપ છે કે લગ્નના ટૂંકા ગાળામાં જ તેની પાસે દહેજ અને વિઝાના ખર્ચ પેટે લાખો રૂપિયાની માંગણી કરી માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો છે પોતાની સાથે થયેલા અન્યાય મામલે જહાન્વીબેને મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ વિશાલ સોલંકી, સાસુ અલકાબેન અને સસરા અશોકભાઈ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો અનુસાર, ભોગ બનનાર જહાન્વીબેને સપ્ટેમ્બર 2023માં વિશાલકુમાર સોલંકી સાથે લગ્ન નોંધણી કરાવી હતી અને ફેબ્રુઆરી 2024માં સામાજિક રીતે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેઓ પતિ સાથે લંડન ગયા હતા, પરંતુ ત્યાં ગયાના માત્ર બે જ મહિનામાં સાસરીયાઓએ ફોન પર ચઢામણી શરૂ કરી હતી કે પિયરમાંથી કોઈ દહેજ કે કરિયાવર મળ્યો નથી. પતિ વિશાલ સોલંકીએ વિઝા રીન્યુઅલના બહાને પત્નીના પિતા પાસે આશરે ₹ 8 લાખની માંગણી કરવા દબાણ શરૂ કર્યું હતું. કોર્ટ મારું કશું બગાડી શકશે નહીં - પતિની ધમકીજહાન્વીબેનના જણાવ્યા મુજબ, તેના પતિએ દહેજની રકમ અને લગ્નમાં ચાંલ્લા પેટે આવેલા ₹1.25 લાખની પણ માંગણી કરી હતી. વિઝા માટેના પૈસા નહીં આપે તો ભારત પાછા મોકલી દેવાની ધમકી આપી વિશાલે એવું પણ કહ્યું હતું કે, હું લંડન છું, તમે કે કોર્ટ મારું કશું બગાડી શકવાના નથી. આખરે મે 2024માં લાયસન્સ કઢાવવાના બહાને જહાન્વીબેનને એકલી ભારત મોકલી દેવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:57 am

ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાયો:મોડાસા-થરાદ એસટી બસનો ડ્રાઈવર દારૂ ઢીંચેલી હાલતમાં ઝડપાતાં સસ્પેન્ડ

પાલનપુરના ચડોતર ગામ નજીક મોડાસા-થરાદ રૂટની એસટી બસનો ડ્રાઈવર નશાની હાલતમાં બસ આડીઅવળી ચલાવતો હોવાની જાણ કંડકટરે ડેપોને કરતા પોલીસે કાર્યવાહી કરી ડ્રાઈવરને ઝડપી લીધો હતો. બસમાં બેઠેલા 40થી વધુ મુસાફરોની જિંદગી જોખમમાં મુકનાર ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. પાલનપુરના ચડોતર નજીક મોડાસા-થરાદ રૂટની બસ નંબર જીજે-18-ઝેડટી- 1882 ના ડ્રાઈવર હરિચંદ્રસિંહ નટવરસિંહ જાડેજા (રહે.બેડઝ, દરબારફળી તા.મેઘરજ, જિ.અરવલ્લી) રાત્રે નવ વાગ્યાની આસપાસ 40 થી વધુ પેસેન્જર ભરેલ બસ આડીઅવળી હંકારી રહ્યો હોવાની જાણ બસના કંડકટર વિનોદકુમાર લક્ષ્મણભાઈ તરાલ દ્વારા થરાદ ડેપોને કરવામાં આવી હતી. થરાદ ડેપો મેનેજરે પાલનપુર ડેપો મેનેજર ચેતનભાઇ ચૌધરીને જાણ કરતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને બ્રેથએનાલાઈઝર મશીન દ્વારા તપાસ કરતા ડ્રાઈવર હરિચંદ્રસિંહ દારૂ પીધેલ જણાયો હતો.જેના આધારે 112 મોબાઈલ ટીમને જાણ કરાતા પોલીસે ઝડપી લીધો હતો. તમામ પેસેન્જરોને થરાદની અન્ય બસમાં બેસાડવામાં આવ્યા હતા.પાલનપુર ડેપો મેનેજર ચેતનભાઇ ચૌધરીએ વિભાગીય નિયામક મુકેશભાઈ રાવલને રિપોર્ટ આપતા પરિવહન અધિકારી વિનુભાઈએ તેને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:45 am

તળાવોની માપણી અને કાર્યવાહી પૂર્ણ કરાઈ:વડગામ- પાલનપુરના 126 તળાવો મહેસુલી રેકોર્ડમાં કુદરતી તળાવ તરીકે નોંધાતા નર્મદાના પાણીથી ભરાશે

ઘણા મહિનાઓની વ્યાપક રજૂઆતોના અંતે વડગામ- પાલનપુરના 126 તળાવો હવે મહેસુલી રેકોર્ડમાં સમાવાયા છે.જેના લીધે તે તમામ તળાવ કુદરતી તળાવ તરીકે નોંધાતા નર્મદાના પાણીથી ભરાશે. વહીવટી તંત્રે સરપંચો સાથે બેઠક કર્યા બાદ તળાવોની માપણી અને કાર્યવાહી પૂર્ણ કરાઈ છે. જેમાં વડગામના 73 અને પાલનપુરના 53 તળાવોનો સમાવેશ કરાયો છે. સરપંચ એસો.ના કામરાજભાઈ ચૌધરીએ જણાવ્યું કે વડગામ અને પાલનપુર તાલુકામાં વર્ષોથી પીવાના પાણી અને સિંચાઈ માટે પાણીની તંગી છે. અહીં ભૂગર્ભ જળસ્તર સતત નીચે જતા ખેડૂતો અને ગ્રામજનોમાં ચિંતા છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકાર દ્વારા નર્મદા કેનાલ આધારિત ઉદ્ધવ સિંચાઈ યોજના અંતર્ગત વિવિધ પાઈપલાઈન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. આ યોજના મુજબ વિસ્તારમાં આવેલા તળાવો સુધી નર્મદાનું પાણી પહોંચાડવાનું આયોજન હતું, પરંતુ તેના માટે જરૂરી હતું કે ગામના મહેસુલી રેકોર્ડ એટલે કે 7/12માં તે તળાવો કુદરતી તળાવ તરીકે નોંધાયેલા હોવા જોઈએ. જો આ નોંધ ન કરવામાં આવે તો બંને તાલુકાના અનેક ગામોના તળાવો નર્મદાના પાણીનો લાભ લઈ શક્યા હોત નહીં. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક સ્તરે રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારબાદ સરકાર દ્વારા તા. 24/12/2025ના રોજ મહેસુલી પરિપત્ર બહાર પાડી મહેસુલી રેકોર્ડમાં કુદરતી તળાવો નોંધવાની સત્તા સ્થાનિક પ્રાંત અધિકારીને સોંપવામાં આવી હતી. જેના અનુસંધાને વડગામ અને પાલનપુર તાલુકાના વહીવટીતંત્ર દ્વારા સરપંચ મંડળ સાથે બેઠક યોજી તમામ ગામોના તળાવોની માપણી અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા પૂર્ણ થતા હવે વડગામ તાલુકાના 73 અને પાલનપુર તાલુકાના 53 મળી કુલ 126 તળાવો મહેસુલી રેકોર્ડમાં કુદરતી તળાવ તરીકે નોંધાયા છે. અગાઉ વિરોધ સાથે રજૂઆત થઈ હતી સિધ્ધપુરના ડિંડરોલથી વડગામના કરમાવદ તળાવ સુધીની પાઈપ લાઈન નાખવાની પૂરી થઈ છે જોકે નજીકના ગામોના કેટલાક તળાવો સરકારી રેકર્ડ પર તળાવ ન હોવાથી ખેડૂતોમાં નારાજગી ફેલાઈ હતી. આસપાસના ગામોમાં વિરોધ ઉઠ્યો હતો. કેટલાક ખેડૂતોએ કલેક્ટર કચેરી રૂબરૂ પહોંચી તળાવો ભરવા રજૂઆત પણ કરી હતી.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:39 am

પાટણ મોટર એક્સિડન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલનો ચુકાદો‎:મૃતકના વારસદારને 1.05 લાખ ચૂકવવા વીમા કંપનીને આદેશ

વર્ષ 2004માં સર્જાયેલા એક માર્ગ અકસ્માતના કેસમાં પાટણની મોટર એક્સિડન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલે ચુકાદો આપ્યો છે. જીપ પલટી જવાની ઘટનામાં મૃત્યુ પામેલા પુનાજી કુવરાજીના વારસદારોને રૂ.1,05,000નું વળતર 7.5 ટકા વ્યાજ સાથે ચૂકવવાનો કોર્ટે હુકમ કર્યો છે. મહત્વનું છે કે, આ કેસ અગાઉ હાઈકોર્ટમાં રિમાન્ડ થયો હતો અને લાંબી કાનૂની લડત બાદ અરજદારોને ન્યાય મળ્યો છે. 2 નવેમ્બર 2004ના રોજ પુનાજી કુવરાજી જીપ નંબર GJ-8-T-8363માં મુસાફરી કરી રહ્યા હતા. ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા જીપ પલટી ગઈ હતી, જેમાં ગંભીર ઈજાઓને કારણે પુનાજીનું મોત નીપજ્યું હતું. વીમા કંપનીએ બચાવ કર્યો હતો કે વાહનમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો હતા, પરંતુ પૂરતા પુરાવાના અભાવે ટ્રિબ્યુનલે આ દલીલ ફગાવી દીધી હતી. મૃતકના વારસદારોને રૂ.1,05,000નું વળતર 7.5 ટકા વ્યાજ સાથે ચૂકવવાનો કોર્ટે હુકમ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:35 am

મહિલાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો:પાટણમાં દીકરીઓને જન્મ આપનાર 44 માતાઓનું સન્માન,જરૂરિયાતની કીટ ભેટ

પાટણના ભગિની સમાજ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે દીકરી જન્મને ઉત્સવ બનાવી નારી સશક્તિકરણનું સન્માન કરવાના ઉદ્દેશથી પુનાભા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર અને મહિલા-બાળ કલ્યાણ કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં શહેરમાં છેલ્લા 6 માસમાં જન્મેલ 44 નવજાત દીકરીઓ અને માતાઓનું વિશેષ સન્માન કરી સમાજમાં સકારાત્મક સંદેશ વહેતો કરાયો હતો. સાથેસાથે 6 માસ સુધીની વયની 44 બાળકીઓને સંસ્થા તરફથી સુંદર કીટ ભેટમાં આપી હતી. જેમાં રમકડાં, કપડાં અને બેબી કેર પ્રોડક્ટ્સ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓનો સમાવેશ થતો હતો. મહિલા અને બાળ વિકાસ અધિકારી મેઘાબેન ગોસ્વામીએ ઉપસ્થિત માતાઓને સંબોધતા જણાવ્યું હતું કે, દીકરી એ માત્ર ઘરની લક્ષ્મી નથી, પણ આત્મનિર્ભર બની સમાજનું નેતૃત્વ કરવાની શક્તિ ધરાવે છે. તેમણે બાળ ઉછેર અને મહિલા અધિકારો અંગે સમજણ આપી દરેક માતાને પોતાની દીકરીને શિક્ષિત અને સશક્ત બનાવવા આહવાન કર્યું હતું. ઉદ્યોગપતિ રમેશભાઈ પટેલે આ પ્રવૃત્તિથી પ્રભાવિત થઈ 25,000નું દાન આપી સામાજિક જવાબદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પાટણના નગરસેવકો અને અગ્રણીઓની હાજરીમાં યોજાયેલો આ કાર્યક્રમ માત્ર એક ઉજવણી નહીં, પરંતુ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટેનો એક મક્કમ નિર્ધાર બની રહ્યો હતો. અંધશ્રદ્ધા દૂર કરવા પ્રયોગ કર્યા કાર્યક્રમમાં માત્ર સન્માન જ નહીં, પરંતુ નારીને માનસિક રીતે મજબૂત બનાવવા માટે અહીં અંધશ્રદ્ધા દૂર કરવા માટે પ્રયોગ સાથે માર્ગદર્શન અપાયું હતું.જેમાં કાર્યક્રમમાં સૌથી આકર્ષક પાસું અંધશ્રદ્ધા વિરુદ્ધની જાગૃતિનું રહ્યું હતું. પુનાભા લોક વિજ્ઞાન કેન્દ્રના દર્શનભાઈ ચૌધરીએ વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા સમજાવ્યું હતું કે કેવી રીતે ધુતારાઓ અને ભુવાઓ ભોળી મહિલાઓને છેતરે છે. તેમણે નાળિયેરમાંથી ચૂંદડી કાઢવી, લોટામાંથી વિવિધ નદીઓના નીર કાઢવા અને કંકુના પગલાં પાડવા જેવા પ્રયોગો પાછળના રાસાયણિક રહસ્યો ખુલ્લા પાડી મહિલાઓને સતર્ક રહેવા અપીલ કરી હતી. વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાતોએ વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા સમજાવ્યું હતું કે, સાચું સશક્તિકરણ ત્યારે જ આવશે જ્યારે મહિલાઓ અંધશ્રદ્ધા અને છેતરપિંડીના જાળમાંથી મુક્ત થશે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:33 am

ગાય આડી આવતાં અકસ્માત‎ સર્જાયો:બાઈક સ્લીપ ખાતા યુવાનનો પગ ટાયરમાં ફસાતાં ફ્રેક્ચર

પાટણના બોરસણ-હાંસાપુર રોડ પર ગાય આડે ઉતરતા બાઇક સ્લીપ ખાતાં પિતરાઈ ભાઈના બાઇક ટાયરમાં પગ ફસાઈ જતાં યુવાનને ગંભીર ફ્રેક્ચર થઇ હતી. આ અંગે મામલે રણુંજ પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો. પાટણના બોરસણ ગામે રહેતા મનુજી રાયસંગજી ઠાકોર નામના યુવાન સાથે રવિવારની સાંજે અકસ્માત સર્જાયો હતો. મનુજી તેમના પિતરાઈ ભાઈ વિશાલજી ઠાકોરના બાઇક (GJ-24-AS-3142) પર પાછળ બેસીને નાસ્તો કરવા પાટણ જઈ રહ્યા હતા. આ દરમિયાન બોરસણથી હાંસાપુર જતા માર્ગ પર અચાનક રખડતી ગાય આડે આવતા ચાલકે સંતુલન ગુમાવ્યું હતું અને બાઇક જોરદાર સ્લીપ ખાઈ ગયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે મનુજીનો જમણો પગ બાઇકના પાછળના ટાયરમાં ફસાઈને વળી ગયો હતો. ઘટના બાદ તાત્કાલિક અન્ય ભાઈ વિનુજીને ઇકો ગાડી સાથે બોલાવી મનુજીને પાટણની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ પગમાં ફ્રેક્ચર હોવાનું જણાવાતા ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ અંગે ઇજાગ્રસ્તે રણુંજ પોલીસે વિશાલજી વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:30 am

ભાસ્કર ખાસ:પાટણમાં 382 વાહન ચાલકો RC બુક વગર જ વાહનો દોડાવી રહ્યા છે

દસ્તાવેજ વગર વાહન રસ્તા પર ચલાવવું ગુનો બને છે છતાં આરસી બુક લેવા માટે વાહન માલિકો વર્ષો સુધી કચેરીમાં આવ્યા નથી. જે ગંભીર બેદરકારી સામે આવી છે. વાહન તો ખરીદી લીધું, પણ તેની ઓળખ સમાન RC બુક (Registration Certificate) લેવાની તસ્દી 382 જેટલા માલિકોએ વર્ષોથી લીધી નથી. આનો સીધો અર્થ એ છે કે, અત્યારે પાટણના માર્ગો પર 382 વાહનો કોઈપણ માન્ય દસ્તાવેજ વગર દોડી રહ્યા છે. પાટણ આરટીઓ ઓફિસ દ્વારા નવીન વાહન ખરીદી બાદ બનાવેલી આરસીબુકો પોસ્ટ મારફતે જેતે મૂળ માલિકોને મોકલી હતી. વર્ષ 2019થી 2026 સુધીના આંકડાઓ પર નજર કરીએ તો, કુલ 682 જેટલી આરસી બુક જે તે મૂળ માલિકના સરનામાની માહિતીમાં વિસંગતતાના કારણે માલિકોનો સંપર્ક ના થતા પરત આવી છે. 300 ચાલકો આરટીઓ કચેરીમાં આવીને RC બુક લઈ ગયા છે. વાહન ખરીદતી વખતે માલિકો દ્વારા અપાયેલાં એડ્રેસમાં ભૂલ અથવા ઘર બદલાઈ ગયું હોય ત્યારે પોસ્ટમેનને માલિકનો સંપર્ક ના થતા પરત લઈને આવી આરટીઓ કચેરીમાં બુક પરત કરી રહ્યા છે. વર્ષ 2024માં 275 અને વર્ષ 2025માં 125 આરસી બુક પોસ્ટ દ્વારા પરત ખેંચાઈ છે.વર્ષ 2019થી 2026 સુધી કુલ 682 આરસી બુક પરત આવી છે. તેમાંથી 300 અરજદારો લઈ ગયા છે. અત્યારે 382 આરસી બુક પેન્ડિંગ પડી છે. કચેરીના સૂત્રોના જણાવ્યુ હતું કે ઘણા કિસ્સામાં અરજદારો 2020ની સાલની આરસી બુક લેવા માટે અત્યારે આવે છે.અધિકારીઓએ આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, એક-બે મહિના દસ્તાવેજ વગર ચલાવી લેવું સમજ્યા, પણ 5 વર્ષ સુધી પોતાના જ વાહનના ઓરિજિનલ પેપરની શોધ ન કરવી એ માત્ર બેદરકારી નહીં, પણ કાયદાનું સરેઆમ ઉલ્લંઘન છે. RC વગર ટુ-વ્હીલર માટે 1,000, કાર માટે 3,000 દંડ‎ વાહન માલિકો માટે કામની વાત‎

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:29 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:પાટણમાં રાંધણગેસના બુકિંગમાં 50%નો ઉછાળો

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલાં યુદ્ધનાં કારણે ગેસનો સપ્લાય ઘટતાં અછત શરૂ થઈ છે. ગેસના પુરવઠામાં સર્જાયેલી વૈશ્વિક અછતને પગલે પાટણમાં રાંધણ ગેસના બુકિંગમાં અચાનક 50%નો ધરખમ ઉછાળો આવ્યો છે, જેના કારણે બુધવાર સવારથી જ ગેસ એજન્સીઓના સર્વર હેંગ થઈ જતાં ઓનલાઈન બુકિંગ માટે લોકો ફાંફે ચડ્યા છે. આ સંકટ માત્ર રસોડા સુધી સીમિત નથી, પરંતુ ગેસ કંપનીઓએ કોમર્શિયલ PNG સપ્લાયમાં પણ 50%નો કાપ મૂક્યો છે અને જમ્બો સિલિન્ડરનો પુરવઠો સંપૂર્ણપણે બંધ કરી દેતા હોટલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગ ઠપ થવાની ભીતિ સેવાઈ રહી છે. ગેસની અછત શરૂ થતાં જ પાટણમાં ગેસની એજન્સીઓમાં બોટલ માટે બુકિંગ દોઢું થઈ ગયું છે. પહેલાં દરરોજ એક ગાડી બાટલાનું વેચાણ થતું હતું તેની સામે હાલમાં દોઢ ગાડી બાટલા માટેનું બુકિંગ ગેસ એજન્સીને મળી રહ્યું છે. એટલે પહેલાં કરતાં 50 ટકા વધુ બુકિંગ થઈ રહ્યું છે. એક સાથે વધારે લોકો બુકિંગ કરી રહ્યા હોવાથી સર્વર પર લોડ વધારે હોવાથી હેંગ થઇ રહ્યું હોય જેના કારણે સર્વરનો ઇસ્યુ થઈ રહ્યો છે. લાંબો સમય પ્રયાસ કરતા ક્યાંક ક્યાંક બુકિંગ થઈ જાય છે. તેવું ઇન્ડિયન ગેસ એજન્સીના સંચાલક ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું. ગેસ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરનો સપ્લાય બંધ કરી દેતાં હોટલ સંચાલકો પાસે જે સ્ટોક છે.તેનો વપરાશ કરી હોટલો ચાલી રહી છે. સ્ટોક પૂરો થઈ ગયા બાદ હોટલ રેસ્ટોરન્ટો અને નાસ્તાની દુકાનો બંધ કરવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાઇ છે. હોટલ સંચાલકો ગેસ સિલિન્ડર લેવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે પરંતુ કંપનીમાંથી જ સિલિન્ડર આવતા ન હોવાથી ક્યાંથી સિલિન્ડર મળે તેવી શક્યતા નથી. જે હોટલોમાં પીએનજી પાઇપલાઇનથી ગેસ સપ્લાય થઈ રહ્યો છે તેમાં પણ સપ્લાય ઘટાડીને 50 ટકા કરી દેવાયો છે.આ ઉપરાંત 425 કિલોનો જમ્બો સિલિન્ડર 47 કિલો 19 કિલોના સિલિન્ડર પણ બંધ કરી દેવાયા છે. તેવું ગેસ એજન્સીના સૂત્રોએ જણાવ્યું હતું. રાધનપુરમાં બુકિંગ બંધ થતા ગ્રાહકો એજન્સી પર ઉમટ્યા‎રાધનપુરમાં રાંધણ ગેસ સિલિન્ડર મેળવવા માટે બે દિવસથી ફોન બુકિંગ ન થવાને કારણે ગ્રાહકો સીધા એજન્સી પર પહોંચી રહ્યા છે, બુકિંગની વ્યવસ્થા ખોરવાઈ જતા લોકો પરેશાન થઈ રહ્યા છે. ગ્રાહકોએ જણાવ્યું કે એક સિલિન્ડર મેળવવા માટે તેમને લાંબો સમય રાહ જોવી પડે છે. ગ્રાહકોને વારંવાર એજન્સીના ધક્કા ખાવા પડે છે. ગેસ નહીં મળે તો બંધ કરવાની ફરજ પડશેહાલમાં બે દિવસ ચાલે એટલો જ ગેસના બાટલાનો સ્ટોક બચ્યો છે. કોમર્શિયલ બાટલાની માગણી કરી હોવા છતાં હજુ સુધી પુરવઠો મળ્યો નથી. આગામી સમયમાં બાટલાની તંગી યથાવત રહે તો અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી હોટલ થોડા સમય માટે બંધ કરવાની નોબત આવી શકે છે. હોટલ ચાલુ રાખવા માટે 4 સગડાની જરૂરિયાત ઊભી થાય છે એક સગડા પાછળ 8,000નો ખર્ચ થાય છે. આ ઉપરાંત લાકડાની પણ વ્યવસ્થા કરવી પડે છે. જે પોષાય તેમ નથી.તેવુ હોટલ સંચાલક વાસુદેવભાઈ, વનરાજસિંહએ જણાવ્યું હતું. ઘરેલું ગેસ માટે કોઈ સમસ્યા નથી : તંત્ર કોમર્શિયલ ગેસ સપ્લાયનો સમગ્ર રાજ્યમાં પ્રશ્ન છે. કંપનીમાંથી સપ્લાય બંધ છે.ઘરેલુ ગેસ માટે કોઈ સમસ્યા નથી. ગેસ કંપનીઓ સાથે પણ વાત થઈ છે. તંત્ર દ્વારા મોનિટરિંગ ચાલુ છે. તેવું જિલ્લા પુરવઠા અધિકારી હેમાંગીબેન ગુર્જરે જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:26 am

મારામારીના લીધે ફરિયાદ નોંધાઈ:મુદરડામાં અગાઉના ઝઘડાને લઈને મારામારીમાં બેને ઈજા

મહેસાણા તાલુકાના મુદરડા ગામે અગાઉ થયેલી બોલાચાલીને લઇ થયેલી મારામારીની બે ઘટનામાં બે જણાને ઇજા પહોંચી હતી. લાંઘણજ પોલીસે બંને પક્ષના ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો છે. મુદરડા ગામના ચીનુજી લક્ષ્મણજી ઠાકોર રવિવારે તેમના કાકા બાલાજીના દીકરા આશિષને ગામના જ ઠાકોર હસમુખજી વિરમજી સાથે ઝઘડો થયો હતો. સોમવારે ચીનુજી નોકરી પૂરી કરીને બાઇક લઇ ગામમાંથી પસાર થતા હતા, ત્યારે ઠાકોર જેણાજી મંગાજીએ ધારિયુ લઇને અગાઉ થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખી તેમની ઉપર વીંઝતાં ડાબા હાથે ઇજા થઇ હતી. તેમને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. સામે પક્ષે, ઠાકોર અલ્પેશજી વિરમજી રવિવારે સાંજે બાલાજી ઠાકોરના ઘરે જઇ મારા ભાઈ હર્ષદને કેમ ગાળો બોલો છો એવું કહેતાં કૌશિકજી જોઈતાજી, આશિષજી બાલાજી અને જોઈતાજી ડાહ્યાજીએ ગડદાપાટુનો માર માર્યો હતો.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:24 am

દુષ્કર્મનો મામલો આવ્યો સામે:ઉછીના લીધેલ 24 હજાર પરત ન આપતાં મહિલા પર દુષ્કર્મ આચર્યું

હાથ ઊછીના લીધેલા રૂપિયા પરત ન આપી શકતા ઊંઝા તાલુકાના ટુંડાવ ગામના શખ્સે મહિલાના ઘરમાં જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં વારંવાર સંબંધ બાંધવાની માંગણી કરી અને અગાઉ બનાવેલો વીડિયો વાયરલ કરવાની ધમકી આપતાં મહિલાએ ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ મહિલા બચી ગઈ છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બે સંતાનોની માતા 36 વર્ષીય મહિલાએ ટુંડાવ ગામના સુરેશભાઈ હીરાભાઈ પ્રજાપતિ પાસેથી ટુકડે ટુકડે રૂ.₹24 હજાર હાથ ઊછીના લીધા હતા. કેટલાક સમય બાદ આરોપી દ્વારા રૂપિયા પરત આપવા માટે વારંવાર ઉઘરાણી કરવામાં આવતી હતી. બે મહિના અગાઉ આરોપી મહિલાના ઘરમાં ગયો હતો અને પૈસા પરત ન આપી શકવાની સ્થિતિનો લાભ લઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ આરોપી વારંવાર મહિલાને સંબંધ બાંધવા દબાણ કરતો હતો. મહિલાએ તેની માંગણી ન સ્વીકારતાં આરોપીએ અગાઉના બનાવનો વીડિયો તેની‎દેરાણીને બતાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. આ‎ઘટનાથી આઘાતમાં આવી મહિલાએ ખેતરમાં જઈ જીવાત મારવાની ઝેરી દવા‎પી લીધી હતી. પરિવારજનોને જાણ થતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાઇ‎હતી. જ્યાં સારવાર બાદ તેનો બચાવ થયો હતો. આ ઘટનાની જાણ થતાં‎મહિલાએ ઊંઝા પોલીસ સ્ટેશનમાં સુરેશભાઈ હીરાભાઈ પ્રજાપતિ સામે દુષ્કર્મની‎ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીની ધરપકડ કરવા‎તજવીજ હાથ ધરી છે.‎

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:22 am

યુવકે જીવન ટૂંકાવ્યું:યુવકે દવા પી ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો

વિજાપુર તાલુકાના કમાલપુર ગામે ઘરની બહાર શૌચાલય બનાવવા મામલે પડોશીએ ધમકી આપતાં મકાન માલિકે ઉંદર મારવાની ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સારવારથી બચી ગયેલા મકાન માલિકે પડોશી સામે ફરિયાદ નોંધાવી હતી. કમાલપુર ગામે સેનમાવાસમાં રહેતા મુકેશભાઈ ગાંડાભાઈ સેનમા તેમના ઘરની બહાર શૌચાલય બનાવતા હોઇ બાજુમાં રહેતા મન્સુરી ગનીભાઇ આદમભાઈ અને મન્સુરી બિલકીસ ગનીભાઇએ આવીને તેમની સાથે ઝઘડો કરી અપમાનિત શબ્દો બોલતાં મુકેશભાઈને લાગી આવ્યું હતું. તેમણે ખેતરમાં જઈ ઉંદર મારવાની દવા પીધા બાદ ઘરે આવીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારજનોએ બેભાન હાલતમાં તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં તેમણે ભાનમાં આવ્યા બાદ ઘરની બહાર શૌચાલય બનાવવા મામલે ધમકી આપનાર પડોશી સામે ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:20 am

વેધર રિપોર્ટ:ઉત્તર ગુજરાતનો 80 ટકા વિસ્તાર હીટવેવની ચપેટમાં‎, 40.7 ડિગ્રી સાથે ડીસા દેશનું સાતમું સૌથી ગરમ શહેર રહ્યું

બુધવારે 40.7 ડિગ્રી સાથે ડીસા દેશનું સાતમું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે ઉત્તર ગુજરાતનો 80 ટકા વિસ્તાર હીટવેવની ચપેટમાં આવી ગયો હતો. ઉત્તર ગુજરાતમાં બુધવારે રાત્રે તાપમાનમાં પોણા બે ડિગ્રીના વધારા સાથે લઘુત્તમ તાપમાન 22.5 ડિગ્રી આસપાસ રહ્યું હતું. જ્યારે અડધા ડિગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન 39.6 થી 40.7 ડિગ્રી વચ્ચે રહ્યું હતું. તાપમાન ઘટવા છતાં આકરી ગરમીનું જોર યથાવત રહ્યું હતું. તેની પાછળ બનાસકાંઠા અને પાટણમાં ઓરેન્જ એલર્ટ તેમજ મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં યલો એલર્ટ હીટવેવ જવાબદાર રહી હતી. સામાન્ય રીતે 11 માર્ચે ઉત્તર ગુજરાતમાં દિવસનું તાપમાન 33.7 થી 34 ડિગ્રી વચ્ચે રહેવું જોઈએ, તેની સામે 7 ડિગ્રી સુધી ઊંચું રહ્યુ઼ં છે. ગરમી વધતાં જનજીવન પર તેની અસર દેખાઇ બપોરના સમયે લોકો જરૂરી કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આકરી ગરમીના કારણે લૂ લાગવાની તેમજ ડિહાઇડ્રેશન જેવી સમસ્યા વધવાની ભીતિ રહે છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને મજૂરો માટે મુશ્કેલી વધી રહી છે. બીજી તરફ, પીવાના પાણી અને વીજળીની માંગમાં પણ વધારો થયો છે. બજારો અને જાહેર સ્થળોએ બપોરના સમયે લોકોની અવરજવર ઘટી ગઈ છે, તબીબો દ્વારા લોકોને પૂરતું પાણી પીવા અને બપોરના સમયે તડકામાં બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે. સતત 11 કલાક પારો 31 ડિગ્રીની પાર રહ્યો બુધવારે સવારે 8.30 કલાકે તાપમાન 25.4 ડિગ્રી હતું. ત્યારબાદ માત્ર 3 કલાકમાં 10 ડિગ્રીના વધારા સાથે 11.30 કલાકે 36 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. બપોરે તાપમાન 40.7 ડિગ્રીએ પહોંચ્યા બાદ ઉતરવાનું શરૂ થયું હતું. સાંજે 5.30 કલાકે 37 ડિગ્રી અને રાત્રે 8.30 કલાકે પણ 31 ડિગ્રી તાપમાનના કારણે વાતાવરણ ગરમ રહ્યું હતું. દિવસ દરમિયાન સતત 11 કલાક તાપમાન 31 ડિગ્રી પાર રહ્યું હતું. આજથી હીટવેવનું જોર ઘટશે, છતાં 2 દિવસ રાહત નહીં‎હવામાન વિભાગની આગાહી મુજબ આજે બનાસકાંઠા અને‎પાટણમાં તથા શુક્રવારે બનાસકાંઠામાં હીટવેવ રહેશે. હીટવેવનું જોર‎ઘટવા છતાં બે દિવસ હજુ આકરી ગરમી રહેશે. જો કે 14 માર્ચથી‎વાતાવરણમાં પલટા સાથે ગરમીનું જોર 2 થી 4 ડિગ્રી ઘટી શકે છે. આ‎દરમિયાન વાતાવરણ વાદળછાયું રહી શકે છે.‎

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:08 am

ભાસ્કર એક્સક્લુસિવ:મનપાના બજેટ માટે 395 સૂચનો, સૌથી વધુ 337 આંતરિક રસ્તા નવા બનાવાની માગણી

મહેસાણા મહાનગરપાલિકાના આગામી નાણાકીય વર્ષના બજેટની તૈયારીઓ પૂર્ણતાના તબક્કે પહોંચી ગઈ છે. એકાદ અઠવાડિયામાં બેઠક યોજી બજેટ રજૂ કરવામાં આવશે. તે પહેલાં નગરજનો પાસેથી બજેટ માટે જાહેર સૂચનો માગ્યા હતા, જેમાં શહેરમાંથી ઓનલાઇન કુલ 395 સૂચનો મળ્યા છે. જેમાં સૌથી વધુ 337 સૂચનો આંતરિક રસ્તાઓના નવીનીકરણને લગતાં છે. જેમાં નાગલપુર કોલેજ રોડ, સનાપાર્ક, શોભાસણ રોડ સહિતના વિસ્તારોમાંથી રસ્તા સુધારણા અને નવા રસ્તાઓના કામ અંગે રજૂઆતો કરવામાં આવી છે. આ ઉપરાંત નર્મદા પાણી અને ડ્રેનેજ લાઇનથી વંચિત વિસ્તારોમાંથી પણ પાણી અને ડ્રેનેજની સુવિધા માટે સૂચનો કરાયાં છે. રાધનપુર રોડ, બાવનના નેળિયા, સી-લિંક રોડ, રાજકમલ પાછળ તથા સૌંદર્ય ગ્રીન સહિતના વિસ્તારોમાં ડ્રેનેજ અને નર્મદા પાણી માટે સૂચન છે. પ્રાથમિક સુવિધાઓ સાથે નાગરિકોએ નવા સિનિયર સિટિઝન પાર્ક, ગાર્ડન, યુવાનો માટે સ્પોર્ટ્સ સંકુલ, પુસ્તકાલય તથા આધુનિક શિક્ષણ વ્યવસ્થા ઉભી કરવા પણ સૂચનો કર્યા છે. મળેલા સૂચનો પૈકી મોટા ભાગના સૂચનો બજેટમાં વોર્ડવાર અને શાખાવાર તારવીને લઇ લીધા છે. કેટલાકે એકથી વધુ મુદ્દા અંગે સૂચનો આપ્યા હોવાથી કોમન મુદ્દા અલગ કરી સમાવ્યા છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:06 am