છેલ્લા બે-ત્રણ દિવસથી દુબઈમાં સર્જાયેલી અશાંતિ અને હુમલાની ઘટનાઓને પગલે વિદેશમાં વસતા ગુજરાતીઓના પરિવારજનોમાં ભારે ફાળ પડી છે. ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના કેશોદના વતની અને રોજગાર અર્થે દુબઈ ગયેલા અરવિંદ જયસ્વાલના પરિવારમાં હુમલાના સમાચાર મળતા જ ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જોકે, તાજેતરના અહેવાલ મુજબ અરવિંદભાઈ સુરક્ષિત હોવાનું તેમના પરિવારે નિવેદન આપ્યું છે. અરવિંદભાઈના ભાઈ શ્રવણભાઈ રામગોપાલ જયસ્વાલે જણાવ્યું હતું કે તેમનો ભાઈ છેલ્લા બે મહિનાથી દુબઈમાં ફર્નિચર બનાવવાનું કામ કરવા માટે ગયો છે. તેઓ દુબઈના સોનાપુર વિસ્તારમાં મેંગો માર્કેટ નજીક રહે છે. હુમલાની જે ઘટના બની તે તેમના રહેઠાણથી આશરે 7 થી 8 કિલોમીટર દૂર થઈ હતી. શરૂઆતમાં બોમ્બ વિસ્ફોટ અને હુમલાના અસ્પષ્ટ સમાચાર મળતા પરિવારમાં ભયનો માહોલ સર્જાયો હતો, પરંતુ ટેલિફોનિક વાતચીત બાદ પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. શ્રવણભાઈએ વધુમાં માહિતી આપતા જણાવ્યું કે જ્યારે મેં મારા ભાઈ સાથે વાત કરી ત્યારે તેણે જણાવ્યું હતું કે હુમલા સમયે જોખમ ઘણું વધારે હતું, પરંતુ છેલ્લા બે દિવસથી ત્યાં થોડી શાંતિ જોવા મળી રહી છે. અરવિંદની સાથે અન્ય 8 થી 10 લોકોની ટીમ પણ ત્યાં ફર્નિચરના વ્યવસાય અર્થે કામ કરી રહી છે. અત્યારે તેઓ રૂમ પર સુરક્ષિત છે અને પરિસ્થિતિ સામાન્ય જણાઈ રહી છે. વિદેશમાં રહેલા ગુજરાતીઓની સુરક્ષાનો મુદ્દો અત્યારે ગંભીર બન્યો છે. શ્રવણભાઈ જયસ્વાલે સરકારને નમ્ર અપીલ કરતા જણાવ્યું છે કે, દુબઈની પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવે અને ત્યાં ફસાયેલા શ્રમિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. જો આગામી સમયમાં પરિસ્થિતિ વધુ વણસે, તો તેમના ભાઈ અને અન્ય સાથીદારોને સુરક્ષિત રીતે વતન પરત લાવવા માટેની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
બારગામ દશાનાગર યુવક મંડળ અને લેડીઝ વિંગ, મણિનગર દ્વારા તિલક હોળીની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ હર્ષદરાય પરીખ કોમ્યુનિટી હોલ ખાતે યોજાયો હતો. ઉજવણીમાં ગીત-સંગીત, નૃત્ય, હાઉસી અને ભોજનનો સમાવેશ થતો હતો. આ પ્રસંગે 125 પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું નેતૃત્વ જયેશ પરીખ, નિલેશ શાહ અને નિહારિકા પરીખે કર્યું હતું. ગાયક કલાકાર દિલીપકુમાર અને નિકી રાઠોડે ગીત-સંગીતની પ્રસ્તુતિ કરી હતી.
છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુપ્પા ગામે રસ્તાના અભાવે વધુ એક વખત ગંભીર સ્થિતિ સર્જાઈ છે. પ્રસૂતિ પીડા ઉપડતા એક મહિલાને સ્ટ્રેચરમાં ઉચકીને લઈ જવામાં આવી રહી હતી ત્યારે રસ્તામાં જ તેણે બાળકને જન્મ આપ્યો હતો. બાદમાં માતા અને નવજાત શિશુને ફરીથી સ્ટ્રેચરમાં ઉચકીને 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. આ ઘટના નસવાડી તાલુકાના અંતરિયાળ કુપ્પા ગામની છે, જ્યાં 108 એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકતી નથી. પરિણામે, પ્રસૂતા મહિલાને લગભગ 1 કિલોમીટર દૂર આવેલા પાકા રસ્તા સુધી સ્ટ્રેચરમાં લઈ જવાની ફરજ પડી હતી. કુપ્પા ગામના રમીલાબેન દિલીપભાઈ ભીલને સાંજે લગભગ 6:30 વાગ્યે પ્રસૂતિની પીડા શરૂ થઈ હતી. પરિવારજનોએ તાત્કાલિક સ્ટ્રેચરની વ્યવસ્થા કરી અને લગભગ 7 વાગ્યે ટોર્ચના અજવાળે રમીલાબેનને સ્ટ્રેચરમાં ઉચકીને છોટી ઉમર તરફ નીકળ્યા હતા. નાના-મોટા ટેકરા અને ઉબડ-ખાબડ રસ્તાઓ પરથી પસાર થતી વખતે અડધે રસ્તે જ રમીલાબેનને અસહ્ય દુખાવો ઉપડ્યો અને રસ્તામાં જ તેમની પ્રસૂતિ થઈ ગઈ. પ્રસૂતિ થયા બાદ પરિવારજનોએ માતા અને નવજાત બાળક બંનેને સ્ટ્રેચરમાં ઉચકીને છોટી ઉમર ખાતે ઉભેલી 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા હતા. ત્યાંથી તેમને દુગ્ધા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે છોટા ઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ રસ્તાનો અભાવ જોવા મળે છે. જેના કારણે સ્થાનિક લોકોને, ખાસ કરીને સગર્ભા મહિલાઓ અને બીમાર વ્યક્તિઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કુપ્પાથી છોટી ઉમર સુધીનો રસ્તો ન બનવાને કારણે અહીંના લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને ડુંગરાળ વિસ્તારમાં પાકા રસ્તા બનાવવાની માંગ કરી રહ્યા છે.
ડાકોર જતા પદયાત્રીઓ માટે હોળી પ્રસાદી કેમ્પ:માં વીરબાઈ જલારામ સત્સંગ મંડળે હાથીજણ ખાતે આયોજન કર્યું
રાયપુરના માં વીરબાઈ જલારામ સત્સંગ મંડળ દ્વારા હોળી નિમિત્તે ડાકોર જતા પદયાત્રીઓ માટે પ્રસાદી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ હાથીજણ ખાતે રાજસ્થાન રેસ્ટોરન્ટ, ઓક્ટ્રોય નાકાની બાજુમાં, તારીખ 27 ફેબ્રુઆરી, 2026 થી 1 માર્ચ, 2026 દરમિયાન યોજાયો હતો. આ પ્રસાદી કેમ્પની પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મ્યુનિસિપલ કાઉન્સિલર મૌલિકભાઈ અતુલભાઈ પટેલે શુભેચ્છા મુલાકાત લીધી હતી. પ્રદીપસિંહ જાડેજાએ આયોજકો જીગ્નેશભાઈ ઠક્કર, સન્નીભાઈ ઠક્કર, કુણાલ પટેલ અને આશિષભાઈ ઠક્કર પાસેથી કેમ્પ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. તેમણે સેવા કાર્યની પ્રશંસા કરી હતી અને ભવિષ્યમાં કોઈપણ પ્રકારની સહાયની જરૂર પડે તો જણાવવા કહ્યું હતું. આયોજકોએ જાડેજાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કેમ્પમાં મોટી સંખ્યામાં પદયાત્રીઓએ પ્રસાદનો લાભ લીધો હતો. આયોજક મંડળના કાર્યકર્તાઓ છેલ્લા 15 વર્ષથી આ પ્રકારની સેવા પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.
પુણે ખાતે પ્રોએક્ટિવ અબેકસ કોલ્હાપુર સંસ્થા દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાની અબેકસ સ્પર્ધામાં રાણીપના પ્રોએક્ટિવ અબેકસ ક્લાસના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ સ્પર્ધામાં રાણીપના બાળકોએ ૬ મિનિટમાં ૧૦૦ દાખલા ગણીને વિજય મેળવ્યો હતો. આ રાષ્ટ્રીય સ્પર્ધામાં દેશભરમાંથી ૪૦૦૦થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. આ બાળકો રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વિજયી બન્યા બાદ રાષ્ટ્રીય સ્તરે ભાગ લેવા માટે લાયક ઠર્યા હતા. પ્રોએક્ટિવ અબેકસ, રાણીપમાંથી કુલ ૧૦ બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમાંથી સાત વિદ્યાર્થીઓએ વિજય પ્રાપ્ત કર્યો છે. વિજેતાઓમાં ધ્યાની ચૌહાણ, ફિયાન પટેલ, પૂર્વ પટેલ, મિતાંશ ઠાકોર, મિશા પટેલ, આયાંશ શાહ અને ભવ્ય પટેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રાજવી પટેલ, દ્રવ્ય પટેલ અને દત્ત પટેલ સહિતના અન્ય બાળકોએ પણ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ તમામ વિજેતા બાળકોને તેમની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
અખંડ જ્યોત દંડવત યાત્રા જામનગર પહોંચી:ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માગ સાથે યાત્રાનું આગમન
ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે શરૂ થયેલી 'અખંડ જ્યોત દંડવત યાત્રા' આજે જામનગર પહોંચી છે. અમિતસિંગ યાજ્ઞિક દ્વારા શરૂ કરાયેલી આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ગૌમાતાના રક્ષણ, સેવા અને કલ્યાણ માટે સરકારને અપીલ કરવાનો છે. આ યાત્રા ગત સોમવાર, 23 ફેબ્રુઆરી 2026ના રોજ લોધિકાથી શરૂ થઈ હતી અને આગામી 17 માર્ચ 2026ના રોજ દ્વારકા ખાતે સમાપ્ત થશે. આજે, 2 માર્ચના રોજ, જામનગરમાં સ્વામિનારાયણ મંદિર, બેડીગેટ ખાતે યાત્રાનું સ્વાગત કરવામાં આવશે. આજે સાંજે 3:30 કલાકે યાત્રા બેડીગેટથી પ્રસ્થાન કરી, પંચેશ્વર ટાવર થઈને ખંભાળિયા બાયપાસ તરફ આગળ વધશે. યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ગૌમાતાને 'રાષ્ટ્રમાતા'નો દરજ્જો અપાવવાનો છે, જેને આયોજકો સંસ્કૃતિની સેવા માને છે. આ પવિત્ર હેતુ માટે નીકળેલી યાત્રામાં જોડાવા અને ગૌરક્ષાના આ મહાયજ્ઞમાં સહભાગી થવા માટે જામનગરના તમામ ગૌભક્તોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ યાત્રા ગૌમાતા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને સમર્પણનું પ્રતિક બની રહી છે.
અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં હોળી-ધૂળેટીના પવિત્ર પર્વ નિમિત્તે ફાગણી પૂનમની ઉજવણી કરવામાં આવી હતી. આજે ફાગણ સુદ ચૌદસ એટલે કે વ્રતની પૂનમ હોવાથી વહેલી સવારથી જ હજારો ભક્તો ભગવાન ગદાધરના દર્શને પહોંચ્યા હતા. ભગવાનને સોનાના આભૂષણોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો અને ચાંદીની પિચકારીથી કેસુડાના રંગ છાંટવામાં આવ્યા હતા. ભક્તો પર પણ પિચકારી વડે રંગ છાંટવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં સાંજે 6:30 કલાકે પરંપરાગત રીતે હોળી દહનનો કાર્યક્રમ પણ યોજાશે. શામળાજીમાં બે દિવસીય પૂનમનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, જેમાં આજે વ્રતની પૂનમ અને આવતીકાલે દર્શનની પૂનમ છે. પૂજારી દ્વારા ભગવાનને અબીલ-ગુલાલ અને કેસુડાના રંગોથી હોળી મનોરથ કરાવવામાં આવ્યો હતો. જોકે, આવતીકાલે ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ હોવાને કારણે મંદિરના નિયમિત દર્શનના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ચંદ્રગ્રહણને કારણે મંદિર ખુલવાનો સમય સવારે 5:00 વાગે, મંગલા આરતી સવારે 5:45 વાગે, શણગાર આરતી સવારે 8:00 વાગે અને રાજભોગ સવારે 9:00 વાગે રહેશે, ત્યારબાદ મંદિર બંધ થશે. રાજભોગ આરતી સવારે 9:45 વાગે થશે. ઉત્થાપન (મંદિર ખુલશે) બપોરે 12:30 વાગે અને સંધ્યા આરતી બપોરે 1:30 વાગે થશે. મહત્વનું છે કે બપોરે 1:30 વાગ્યા બાદ રાત્રીના 8:30 સુધી ઠાકોરજીની આગળની ઝાળી બંધ રહેશે, પરંતુ શ્રદ્ધાળુઓ ઝાળીમાંથી દર્શન કરી શકશે. ગ્રહણની શરૂઆત બપોરે 3:20 વાગે થશે અને સાંજે 6:47 વાગે ગ્રહણ મોક્ષ થયા બાદ મંદિરનું પ્રક્ષાલન (શુદ્ધિકરણ) કરવામાં આવશે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને ગ્રહણના બદલાયેલા સમયને ધ્યાનમાં રાખીને દર્શનનું આયોજન કરવા અપીલ કરવામાં આવી છે.
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીનો હોળી સંદેશ:લાકડાં સાથે હૃદયના દોષો બાળી સુખી થવા આહ્વાન
શ્રી સ્વામિનારાયણ મંદિર, કુમકુમ, મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ હોળી પર્વ નિમિત્તે સંતવાણીમાં જણાવ્યું હતું કે, હોળી એ અસત્ય પર સત્યના વિજયનો ઉત્સવ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, માત્ર લાકડાં બાળવાને બદલે હૃદયમાં રહેલા દોષોને બાળીશું તો જ સાચી સુખ-શાંતિ પ્રાપ્ત થશે. સાધુ પ્રેમવત્સલદાસજીએ વધુમાં કહ્યું કે જ્યાં સુધી મનુષ્યમાં કામ, ક્રોધ જેવા દોષો પ્રવર્તે છે, ત્યાં સુધી હૃદય તપેલું રહે છે અને શાંતિ મળતી નથી. આંતરિક શાંતિ માટે આ દોષોનો ત્યાગ અનિવાર્ય છે. ક્રોધને જીતવા માટે તેમણે કેટલાક ઉપાયો સૂચવ્યા. જ્યારે ક્રોધ આવે ત્યારે ભગવાનનું નામ સ્મરણ કરવું, જે વ્યક્તિને કારણે ક્રોધ આવ્યો હોય તેનાથી દૂર જતું રહેવું અને ઊંધા આંકડા ગણવા (જેમ કે ૧૦, ૯, ૮...) જેવા સરળ ઉપાયો અપનાવવાથી ક્રોધથી બચી શકાય છે. તેમણે સમજાવ્યું કે ક્રોધ ક્ષણજીવી હોય છે, પરંતુ તેના પરિણામો લાંબા સમય સુધી રહે છે. તેથી, ક્રોધ પર નિયંત્રણ મેળવવું અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આવી જ રીતે, મનુષ્યે પોતાના તમામ દોષોને ટાળવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ, જેથી જીવનમાં સુખ અને શાંતિનો અનુભવ થઈ શકે.
સાળંગપુરધામ સ્થિત શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં હોળી પર્વ નિમિત્તે દાદાને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત આ યાત્રાધામમાં 2 માર્ચ, 2026, સોમવારના રોજ આ શણગાર કરાયો હતો. આયોજન સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ થયું હતું. દાદાને વૃંદાવનમાં તૈયાર થયેલા એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા પહેરાવવામાં આવ્યા હતા. તેમના સિંહાસનને ગુલાબના ફૂલો અને રંગબેરંગી કાપડથી સજાવવામાં આવ્યું હતું. સવારે 05:45 કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે દાદાને રંગો અને પીચકારીઓ પણ અર્પણ કરવામાં આવી હતી. મંદિર અને તેના પરિસરને પણ રંગબેરંગી ફૂલો અને કાપડનો ઉપયોગ કરીને વિશેષ રીતે શણગારવામાં આવ્યું હતું. હજારો હરિભક્તોએ આ દિવ્ય દર્શન અને આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આગામી 3 માર્ચ, 2026ના રોજ, એટલે કે પૂર્ણિમાના દિવસે, હોળી-ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે ગુજરાતના સૌથી મોટા રંગોત્સવ અંતર્ગત દાદાને વિશેષ શણગાર કરાશે. આ ઉજવણીમાં સાત કલરના 51,000 કિલો ઓર્ગેનિક રંગો (જેમ કે ગુલાબી, લાલ, પીળો, નારંગી) નો ઉપયોગ કરીને દિવ્ય રંગોત્સવ મનાવવામાં આવશે. આ રંગોત્સવની પૂર્વ તૈયારીઓમાં અનેક ભક્તો સેવામાં જોડાયા છે.
શ્યામજી કૃષ્ણ વર્મા શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ:રમન ઇફેક્ટની યાદમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન
શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા પ્રાથમિક શાળા નંબર-117 માં ૨૮ ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસ વિજ્ઞાનના મહત્વ અને તેનાથી થતા લાભો વિશે જાગૃતિ ફેલાવવાના હેતુથી દર વર્ષે ઉજવાય છે. આ દિવસ મહાન ભારતીય ભૌતિકશાસ્ત્રી સર સી.વી. રમન દ્વારા 'રમન ઇફેક્ટ'ની શોધની યાદમાં ઉજવવામાં આવે છે. આ શોધ માટે તેમને ૧૯૩૦માં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજ્ઞાન પ્રદર્શન, ભાષણ સ્પર્ધા, પ્રશ્નોત્તરી (ક્વિઝ) અને સેમિનારનો સમાવેશ થાય છે.આ ઉજવણીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને જિજ્ઞાસા કેળવવાનો છે. તેમજ દેશના વિકાસમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો પણ આ દિવસનો ઉદ્દેશ્ય છે.
આર.સી. કોલેજ ઓફ કોમર્સના કવચ કેન્દ્ર દ્વારા વિદ્યાર્થીઓમાં સાયબર ક્રાઇમ અને સાયબર સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે એક વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત, ૫૦ વિદ્યાર્થીઓએ નરોડા સ્થિત સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ (CED) સંસ્થાની ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ (બુધવાર) ના રોજ શૈક્ષણિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સાયબર સુરક્ષા વિષય પર વિશેષ તાલીમનું આયોજન કરાયું હતું. જેમાં Prakshware Technologies ના એન્ડ્રોઇડ એપ્લિકેશન ડેવલોપર હિતેશ કાછેલાએ નિષ્ણાત તરીકે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તાલીમ કાર્યક્રમ બે સેશનમાં વહેંચાયેલો હતો. પ્રથમ સેશનમાં સાયબર સુરક્ષાનું મહત્ત્વ, સાયબર ક્રાઇમના વિવિધ પ્રકારો અને બજારમાં પ્રચલિત ઓનલાઇન સ્કેમ્સ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. બીજા સેશનમાં વિદ્યાર્થીઓને સાયબર કાયદાઓ, સાયબર ક્રાઇમ સામે લેવા જરૂરી જાગૃતિના પગલાં અને ગુજરાત સરકારના સાયબર સેલના કાર્યો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. કવચ કેન્દ્રના કોઓર્ડિનેટર પ્રા. ડૉ. પરિમલ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ડિજિટલ સુરક્ષા અંગે જાગૃતિ વધારવાનો અને સમાજમાં સાયબર ગુનાઓ સામે સચેતતા ફેલાવવાનો હતો, જે સફળતાપૂર્વક સિદ્ધ થયો છે. કોલેજના આચાર્ય ડૉ. સાગર દવેએ આ કાર્યક્રમના આયોજન અને સફળતા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
શ્રી રવિશંકર મહારાજ પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની દ્વિદિવસીય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રથમ દિવસે શાળાના વિજ્ઞાન શિક્ષક આરતીબેન સારંગે વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનું મહત્વ, ડૉ. સી. વી. રામનનો પરિચય અને રામન અસર વિશે સમજ આપી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ આકર્ષક વિજ્ઞાન થીમ આધારિત રંગોળી બનાવી હતી. ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ વચ્ચે મોડેલ મેકિંગ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં એકમેકથી ચડિયાતા વર્કિંગ મોડેલ બનાવવામાં આવ્યા હતા અને ત્રણ શ્રેષ્ઠ કૃતિઓ પસંદ કરવામાં આવી હતી. પ્રથમ દિવસના અંતે CRC-1 ની તમામ શાળાઓ વચ્ચે આંતરશાળા ક્વિઝ સ્પર્ધાનું આયોજન થયું હતું. આ સ્પર્ધામાં ધોરણ ૮ ની વિદ્યાર્થીઓ શેખ સિફા, વાઘેલા પૂજા, પ્રજાપત અશ્માની, નિષાદ શિવાની અને બથવાર રૂત્વાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો અને ટ્રોફી તથા મેડલ મેળવ્યા હતા. તા. ૨૮ ફેબ્રુઆરીના રોજ ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધા રાખવામાં આવી હતી. આ સ્પર્ધામાં 'રોજિંદા જીવનમાં વિજ્ઞાનનું મહત્વ', 'સર સી. વી. રામનનું જીવન કવન' અને 'વિજ્ઞાન ક્ષેત્રે ભારતીય મહિલા વૈજ્ઞાનિકોનું યોગદાન' જેવા વિષયો પર વિદ્યાર્થીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. શેખ સિફા, વર્મન દિપાલી અને રાઠોડ હનીશાકંવરે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત, ધોરણ ૬ ના વિદ્યાર્થીઓને “રામન અસરની પ્રયોગશાળા થી જીવન સુધીની અસર” વિડીયો બતાવી રામન અસર અને તેના ઉપયોગો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ધોરણ ૭ ના વિદ્યાર્થીઓએ AIF કીટની મદદથી વિવિધ નમૂના તૈયાર કરી તેનું વિસ્તૃત સમજૂતી આપી હતી. આ દ્વિદિવસીય કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય રોશનીબેન ટેલરના માર્ગદર્શન હેઠળ શાળાના વિજ્ઞાન શિક્ષકો શ્રીમતી વર્ષાબેન પટેલ અને શ્રીમતી આરતીબેન સારંગે કર્યું હતું. આચાર્ય શ્રીમતી રોશનીબેન ટેલરે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ તેમજ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
દુધરેજ વડવાળા ધામમાં શીતલ ગૌશાળાનું લોકાર્પણ:3 લાખ શ્રદ્ધાળુ ઉમટ્યા, 250થી વધુ સંતો ઉપસ્થિત રહ્યા
દુધરેજ વડવાળા ધામમાં વડવાળા દેવના પ્રાગટ્ય દિવસ નિમિત્તે 'હોળી મહોત્સવ 2026' અને 'શીતલ ગૌશાળા'નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 2 માર્ચ, 2026 સોમવારે યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં જગદગુરુ શંકરાચાર્ય અને મોરારીબાપુ સહિત 250થી વધુ સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે 2 થી 3 લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. દુધરેજનું વડવાળા દેવનું મંદિર સમગ્ર વિશ્વમાં માલધારી અને રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર છે. અહીં અખિલ ભારતીય રબારી સમાજ ધર્મગુરુગાદી જગ્યા પર 800 વર્ષથી ચાલી આવતી પરંપરા આજે પણ યથાવત છે. ફાગણ સુદ પૂનમના દિવસે વડ રોપવામાં આવ્યો હતો, જેને માલધારી સમાજની દીકરીઓએ ગાયનું દૂધ પાઈને ઉછેર્યો હતો. દૂધના અભિષેકથી વડ ઉછેરવામાં આવ્યો હોવાથી ગામનું નામ દુધરેજ પડ્યું હોવાનું મનાય છે. દર વર્ષે હોળીના દિવસે વડવાળા મંદિરનો પ્રાગટ્ય દિવસ ઉજવાય છે. નીરામદાસજી બાપુની સ્મરણાર્થે નૂતન 'શીતલ ગૌશાળા'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં જગદગુરુ શંકરાચાર્ય દ્વારકા, રામાનંદાચાર્ય, મોરારીબાપુ સહિત ભારતભરના 250થી વધુ મહામંડલેશ્વરો, સંતો-મહંતો તેમજ સામાજિક અને રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉત્સવમાં સમગ્ર ભારતભરમાંથી રબારી સમાજ, અન્ય સમાજ અને આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમની રૂપરેખા મુજબ, 2 માર્ચે સવારે 8:30 કલાકે મહાયજ્ઞ, સવારે 10:30 કલાકે ગૌશાળાનું લોકાર્પણ અને 11:00 કલાકે ધર્મસભા યોજાઈ હતી. બપોરે 3:30 કલાકે સન્માન સમારંભ, સાંજે 6 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ અને સાંજે 6:30 કલાકે હોલિકા દહન કરવામાં આવશે. ત્યાર બાદ સાંજે 7:30 કલાકે સંધ્યા આરતી અને રાત્રે 9:00 કલાકે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. 3 માર્ચ, 2026 મંગળવારના રોજ સવારે 9:00 કલાકે નૂતન ધ્વજા આરોહણ અને બપોરે 12:00 કલાકે ફુલડોલ આરતી તેમજ ધુળેટી ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. મહાપ્રસાદ માટે એક સાથે બે લાખ લોકો ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. આ મહાપ્રસાદમાં 50,000 લિટર દૂધ, 24,000 કિલો મોહનથાળ, 15,000 કિલો ટોપરાપાક, 6,000 કિલો ગાંઠિયા, 5,000 કિલો ખમણ, 500 ડબ્બા શુદ્ધ ઘી, 1,200 ડબ્બા તેલ, 12,000 કિલો ખાંડ, 22,000 કિલો ચોખા, 8,000 કિલો તુવેર દાળ અને 30,000 કિલો ઘઉંના લોટનો સમાવેશ થતો હતો. આ ભવ્ય વ્યવસ્થામાં 350થી વધુ રસોઈયા અને 20,000થી વધુ સ્વયંસેવકોએ સેવા આપી હતી. શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું હતું. વડવાળા દેવના પ્રાગટ્ય દિવસ નિમિત્તે 1 માર્ચ અને 2 માર્ચના રોજ ખોડું-દુધરેજવાળા રસ્તા પર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેમાં દુધરેજથી નગરા ખોડુ તથા તે રૂટ પર ગામો ભારે વાહનોને મૂળી તરફથી જવાનું રહેશે. નગરા ખોડુ તથા તે રૂટ ઉપર ચાલતા તમામ વાહનોને નગરા દાણાવાળા ગોદાવરીથી સુરેન્દ્રનગર દુધરેજ આવવાનું થશે. મહંત કનીરામદાસજી બાપુને અતિ પ્રિય ગણાતી શીતલ ગાયના સ્મરણાર્થે 10 એકર જમીનમાં ગૌશાળા બંધાવવામાં આવી છે. આ શીતલ ગાય છ મહિનાની હતી ત્યારથી જ્યાં સુધી પોતાનું જીવન જીવી ત્યાં સુધી કનીરામદાસજી બાપુની સાથે જ રહેતી અને તેની સાથે અનેક યાદો પણ કનીરામદાસજી બાપુની જોડાયેલી છે. બાપુની પ્રિય ગાય હતી. 2017માં દેવલોક થઈ ગઈ ત્યારે, સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળવા પામ્યું હતું. હવે તેની યાદમાં બાપુએ ગૌશાળા બંધાવી છે.
અમદાવાદની એલજી હોસ્પિટલમાં બે ડોક્ટરો અને સર્વન્ટ તેમજ ટેકનીશીયન કેજ્યુલટી વિભાગમાં સુતા હોવા અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વાઇરલ વીડિયોમાં ડોક્ટર દર્દીના ખાટલા ઉપર સૂતો જોવા મળ્યો છે. ડોક્ટર ઉપરાંત હોસ્પિટલના સ્ટાફના બે લોકો પણ સુતા હોવાનું સામે આવ્યું છે. ડોક્ટર દર્દીના ખાટલમાં સૂઇ ગયાવીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા એલજી હોસ્પિટલ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરવામાં આવી છે. જે વીડિયો વાઇરલ થયો છે તે કેજ્યુલટી વિભાગના અલગ અલગ જે રૂમ આવેલા છે તેમાંના એક રૂમનો હોવાનું સામે આવ્યું છે. ડોક્ટર અને અન્ય સ્ટાફ દર્દીના ખાટલામાં સુતા હોય એવું લાગી રહ્યું છે: સુપ્રિટેન્ડેન્ટએલજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. લીના ડાભીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે જે કેજ્યુલટી વિભાગના અલગ અલગ રૂમમાં આવેલા છે તેમાના એક રૂમનો હોઈ શકે છે. એલજી હોસ્પિટલમાં હાલમાં રીનોવેશનની કામગીરી ચાલી રહી છે જેથી ડ્યુટી રૂમ નથી તેના કારણે ડોક્ટર અને અન્ય સ્ટાફ દર્દીના ખાટલામાં સુતા હોય એવું લાગી રહ્યું છે. ‘વીડિયોની તપાસ થશે’જોકે દર્દીના ખાટલામાં સ્ટાફ સુઈ શકે નહીં જેથી આ સમગ્ર મામલે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે બપોર બાદ ડોક્ટર અને અન્ય સ્ટાફને બોલાવીને પૂછપરછ કરી કાર્યવાહી કરાશે.
ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડે એકાઉન્ટન્સની સીએ ફાઈનલની પરીક્ષાનું પરિણામ ગત મોડી રાતે જાહેર થયું હતું. આ પરીક્ષાના પરિણામમાં દેશના 50 વિદ્યાર્થીઓની હરોળમાં વડોદરાનાં 5 વિધાર્થીઓએ મેદાન માર્યું છે. આ ઉપરાંત એક વિદ્યાર્થીનીએ 10 વર્ષની મહેનત અને 20 ટ્રાયલ બાદ CA ફાઈનલની પરીક્ષા કરી છે. 'મેં સીએ ફાઈનલની પરીક્ષામાં 408 માર્ક્સ મેળવ્યા'CAની પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્ક 29 મેળવનાર તીર્થ ઠક્કરે જણાવ્યું હતું કે, મેં સીએ ફાઈનલની પરીક્ષામાં 408 માર્ક્સ મેળવ્યા છે અને મારો ઓલ ઇન્ડિયા રેન્ક (AIR) 29 આવ્યો છે. વડોદરા શહેરમાં હું પ્રથમ ક્રમે રહ્યો છું. હું આ પરિણામથી ખૂબ ખુશ છું અને સૌથી વધુ આનંદ એ વાતનો છે કે હું મારા પરિવારને આટલી મોટી ખુશી આપી શક્યો. મેં પણ એટલી જ મહેનત કરી છે જેટલી બીજા વિદ્યાર્થીઓ કરે છે, પરંતુ મને લાગે છે કે મારું નસીબ પણ તે દિવસે સારું હતું અને ભગવાનનો સાથ મળ્યો. મેં પરીક્ષાના તે ત્રણ કલાક દરમિયાન મારી જાતને ખૂબ શાંત રાખી અને સારી રીતે પેપર આપ્યું હતું. CAની ત્રણેય પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરીતેઓએ જણાવ્યું હતું કે, હું સીએ ફાઈનલમાં આવ્યો, ત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી હતી. સીએનો કોર્સ ખૂબ મોટો છે, એટલે ત્રણ વર્ષ પણ ઓછા લાગે છે. ઘરમાં હંમેશા એવું શાંત વાતાવરણ બનાવીને રાખ્યું હતું કે મને ક્યારેય એવું ન લાગ્યું કે હું દબાણમાં ભણી રહ્યો છું કે કોઈ મોટો સંઘર્ષ કરી રહ્યો છું. મેં ફાઉન્ડેશન, ઇન્ટર અને ફાઈનલ – ત્રણેય પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરી છે. હું એ વાતનું ઉદાહરણ બનવા માંગતો હતો કે ફાઉન્ડેશન કે ઇન્ટરમાં રેન્ક ન હોય તો પણ સીએ ફાઈનલમાં સારા રેન્ક સાથે પાસ થઈ શકાય છે. 'પાંચ મહિનાથી દરરોજ સતત 12થી 14 કલાક વાંચતો'ઓલ ઇન્ડિયા 30મો રેન્ક મેળવનાર જીલ્સ પટેલે જણાવ્યું હતું કે, મારો ઓલ ઇન્ડિયા રેન્ક 30 (AIR-30) છે. હું છેલ્લા પાંચ મહિનાથી દરરોજ સતત 12થી 14 કલાક વાંચતો હતો. સોશિયલ મીડિયા મેં એકદમ ઓછું કરી દીધું હતું, સાવ બંધ નહોતું કર્યું પણ ઘણું મર્યાદિત કરી નાખ્યું હતું. તમે મહેનતમાં સાતત્ય રાખો અને શિસ્ત સાથે તૈયારી કરશો તો ચોક્કસ ધાર્યું પરિણામ મળશે. 'સંઘર્ષ તો હતો જ પણ મારા મામા-મામી હંમેશા મારી સાથે રહ્યા'તેને વધુમાં કહ્યું કે, હું મારા પેરેન્ટ્સ, મારા મામા-મામી અને મારી ફ્રેન્ડ કશિશનો આભાર માનું છું, જેમને આ આખી જર્નીમાં મારો સાથ આપ્યો અને જેમના લીધે હું આજે આ સિદ્ધિ મેળવી શક્યો છું. '10 વર્ષની સખત મહેનતનું પરિણામ છે. અને 20 ટ્રાયે પાસ કરી છે'વંદના આહુજાએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષા પાસ કરી છે. તેમની આ સફર જરાય સરળ નહોતી. 10 વર્ષની લાંબી રાહ અને અનેક મુશ્કેલીઓ બાદ તેમણે આ સિદ્ધિ મેળવી છે. વંદના આહુજાએ જણાવ્યું હતું કે, આજે હું ખૂબ જ ખુશ છું કારણ કે આખરે મારા નામની આગળ 'CA' લાગી ગયું છે. 'મમ્મી હાઉસવાઈફ છે અને પપ્પા ફ્રૂટ્સની લારી ચલાવે છે'વંદનાએ જણાવ્યું કે, મનમાં એક જ લક્ષ્ય હતું કે CA તો બનવું જ છે. જો હું અધવચ્ચેથી છોડી દેત તો મને આખી જિંદગી પસ્તાવો રહી જાત કે હું થોડી વધુ મહેનત કરી શકી હોત. મેં નક્કી જ કર્યું હતું કે ગમે તે થાય, આ પરીક્ષા પાસ કરીને જ રહીશ. મારા મમ્મી હાઉસવાઈફ છે અને પપ્પા ફ્રૂટ્સની લારી ચલાવે છે. મારા માતા-પિતાએ મને ક્યારેય ડિસ્કરેજ નથી કરી. તેમને મારા પર પૂરો વિશ્વાસ હતો કે હું એક દિવસ જરૂર સફળ થઈશ. 'આ મારા માટે અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ બર્થડે ગિફ્ટ'તેઓએ કહ્યું કે, છેલ્લા પેપર વખતે પણ મને ખૂબ જ ચક્કર આવતા હતા, એવી હાલત હતી કે જઈ શકાય તેમ નહોતું. છતાં હું રિક્ષામાં બેસીને પરીક્ષા આપવા ગઈ અને પેપર લખ્યું. મને વિશ્વાસ હતો કે આ વખતે હું ક્લિયર કરી લઈશ. એક ખૂબ જ સુંદર સંયોગ છે. ગઈકાલે જ મારો જન્મદિવસ હતો અને ગઈકાલે જ રિઝલ્ટ આવ્યું હતું. આ મારા માટે અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ બર્થડે ગિફ્ટ છે. 'વડોદરાનું પરિણામ 15થી 16% ની આસપાસ રહ્યું'ICAI વડોદરા બ્રાન્ચના ચેરમેન પ્રશાંત કોટેચાએ જણાવ્યું હતું કે, સમગ્ર ભારતની વાત કરીએ તો આ વખતે બંને ગ્રુપમાં પાસ થનાર વિદ્યાર્થીઓનું સરેરાશ પરિણામ 10% થી 11% ની વચ્ચે રહ્યું છે. આ વર્ષે સમગ્ર દેશમાં અંદાજે 7,500થી વધુ નવા CA બન્યા છે. વડોદરાનું પરિણામ આ વખતે ખૂબ જ ઉત્સાહજનક છે. રાષ્ટ્રીય સરેરાશ 10-11% છે, જ્યારે વડોદરાનું પરિણામ 15% થી 16% ની આસપાસ રહ્યું છે. વડોદરામાંથી કુલ 190 વિદ્યાર્થીઓ એ બંને ગ્રુપની પરીક્ષા આપી હતી, જેમાંથી 30 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ ઉપરાંત, સિંગલ ગ્રુપ આપનારા અંદાજે 60થી 70 વિદ્યાર્થીઓ પણ CA બન્યા છે.
વિશ્વની વર્તમાન સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને રાખીને વિદેશમાં વસતા ભારતીયો ખાસ કરીને ગુજરાત અને મહેસાણા જિલ્લાના પ્રવાસીઓ તેમજ કામકાજ અર્થે ગયેલા લોકોની સુરક્ષા માટે મહેસાણા સ્થિત 'સેવાલય' સંસ્થા દ્વારા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દુબઈ, અબુધાબી, ઓમાન, જેદ્દાહ અને કુવૈત જેવા દેશોમાં જે લોકો મુશ્કેલીમાં મુકાયા છે.તેમને વતન પરત લાવવા અથવા જરૂરી સહાય પહોંચાડવા માટે સેવાલય દ્વારા વોટ્સએપ નંબર 9824633244 જારી કરીને વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. ‘સેવાલય’ના માધ્યમથી 240 કરતા વધુ લોકોની વિગત એકત્ર કરવામાં આવીરાજ્યસભાના સાંસદ મયંક નાયકના જણાવ્યા અનુસાર આ મુહિમ શરૂ કર્યાના ગણતરીના સમયમાં જ અત્યાર સુધીમાં 243થી વધુ લોકોની વિગતો પ્રાપ્ત થઈ છે. આ પૈકી 150થી વધુ લોકો માત્ર મહેસાણા જિલ્લાના જ છે.સંસ્થાની એક સમર્પિત ટીમ આ તમામ વિગતોને વ્યવસ્થિત રીતે સંકલિત કરી રહી છે અને કેન્દ્ર સરકારના અધિકૃત 'મદદ' (MADAD) પોર્ટલ તેમજ સંબંધિત વિભાગોમાં ઓનલાઈન અપલોડ કરી રહી છે. આ ડેટામાં મુસાફરો કે શ્રમિકોના નામ અને તેમના વિદેશના મોબાઈલ નંબર સહિતની તમામ વિગતોનો સમાવેશ થાય છે.જેથી ભારત સરકાર અને ત્યાંના જે-તે દેશના કોન્સ્યુલેટ દૂતાવાસ સીધો તેમનો સંપર્ક કરી શકે. આ સેવા કાર્ય અંગે વધુ માહિતી આપતા જણાવાયું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકર વિદેશમાં ફસાયેલા નાગરિકોની સુરક્ષા માટે અત્યંત ગંભીર અને કાર્યશીલ છે.સરકારની આ પ્રક્રિયામાં વેગ આવે અને સ્થાનિક લોકોની માહિતી સરકાર સુધી ત્વરિત પહોંચે તે હેતુથી સેવાલય દ્વારા આ સેતુ બનવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.હજુ પણ અનેક લોકો વોટ્સએપના માધ્યમથી વિગતો મોકલી રહ્યા છે.જેને તબક્કાવાર સરકારના પોર્ટલ પર ચડાવવામાં આવી રહી છે. સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવી છે કે જો કોઈના સગા-સંબંધી વિદેશમાં તકલીફમાં હોય તો તેમની વિગત સેવાલયના ધ્યાને મૂકવી જેથી કેન્દ્ર સરકાર મારફતે તેમને વહેલી તકે કનેક્ટિવિટી અને મદદ મળી રહે.
અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં SMS હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલી ડો. એમ.કે. શાહ મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં અભ્યાસ કરતા 26 વર્ષીય વિદ્યાર્થી દ્વારા ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેવામાં આવી છે. રવિવારે વહેલી સવારે બોયઝ હોસ્ટેલના તેના સાથી મિત્રને જાણ થઈ હતી. રૂમમાં સીલીંગ ફેન પર દોરી વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ચાંદખેડા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે. હોસ્ટેલના રૂમમાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ લીધોમળતી માહિતી મુજબ મૂળ જામનગરનો રહેવાસી અને અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં SMS હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલી ડો. એમ.કે. શાહ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા ચિંતન પરમાર નામના 26 વર્ષીય યુવકે શનિવારે મોડી રાત્રે અથવા રવિવારે વહેલી સવારે બોયઝ હોસ્ટેલમાં પોતાના રૂમમાં સીલીંગ ફેન પર નાયલોનની દોરી વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ચિંતનનો સાથી મિત્ર પાર્થ જ્યારે આવ્યો ત્યારે તેને જાણ થઈ હતી કે,તેણે ગળેફાંસો ખાધો છે જેથી તેને તાત્કાલિક હોસ્ટેલના વોર્ડનને જાણ કરી હતી તેઓ દોડી આવ્યા હતા અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આપઘાતનું કારણ અકબંધSMS હોસ્પિટલ ખાતે ઈમરજન્સી વોર્ડમાં તેને દાખલ કરી અને બચાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા પરંતુ તે બચી શક્યો નહોતો જેથી એક કલાકમાં જ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.આ બાબતે ચાંદખેડા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. યુવકના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી હતી તેઓ પણ અમદાવાદ આવી ગયા હતા. ચાંદખેડા પોલીસે અકસ્માત નોંધી મૃતક ચિંતન પરમારે શા માટે આપઘાત કર્યો તે અંગેની તપાસ શરૂ કરી છે.
ખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના શહેરોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાની રાજ્ય સરકારની મહેનત હવે રાષ્ટ્રીય ફલક પર રંગ લાવી છે. ગુજરાત શહેરી વિકાસ મિશન (GUDM) દ્વારા નગરપાલિકા વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજીના વિશિષ્ટ સમન્વયની નોંધ લેતા ઇન્ડિયા વોટર ફાઉન્ડેશન (IWF) દ્વારા 'બેસ્ટ કમ્યુનિટી ઇમ્પેક્ટ પ્રોજેક્ટ એવોર્ડ' આપવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના મોટા શહેરોની સાથે નાની નગરપાલિકાઓમાં પણ નાગરિકોની સુખાકારી વધારવા માટે કરવામાં આવેલા આયોજનને આ સન્માન મળ્યું છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુભાઇ દેસાઇના માર્ગદર્શન હેઠળ રાજ્યની 156 નગરપાલિકાઓમાં ગટર નેટવર્કની સફાઈ અને મેન્ટેનન્સ માટે એક અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ કમાન્ડ અને કન્ટ્રોલ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. આ સેન્ટર દ્વારા ટેક્નોલોજીની મદદથી ગટર વ્યવસ્થાનું સતત નિરીક્ષણ કરવામાં આવે છે, જેના કારણે કામગીરી વધુ સુદૃઢ અને પારદર્શક બની છે. આ પ્રોજેક્ટ માત્ર સફાઈ પૂરતો મર્યાદિત નથી, પરંતુ પર્યાવરણના જતન માટે પણ સીમાચિહ્નરૂપ સાબિત થયો છે. ટેક્નોલોજીના ઉપયોગથી ગટરના પાણીના પુનઃ ઉપયોગ (Reuse of water) પર ભાર મૂકવામાં આવ્યો છે, પરિણામે લાખો લીટર પાણીની બચત કરવામાં સફળતા મળી છે. પર્યાવરણને અનુકૂળ આ અભિગમને કારણે જ જ્યુરી દ્વારા આ પ્રોજેક્ટને એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો છે. ઇન્ડિયા વોટર ફાઉન્ડેશન દ્વારા આગામી 6 અને 7 માર્ચના રોજ નવી દિલ્હી ખાતે 'વોટર ટ્રાન્સવર્સાલિટી ગ્લોબલ એવોર્ડ્સ અને કોન્ક્લેવ 2026'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય કોન્ક્લેવ દરમિયાન GUDMને સત્તાવાર રીતે 'બેસ્ટ કમ્યુનિટી ઇમ્પેક્ટ પ્રોજેક્ટ એવોર્ડ' એનાયત કરવામાં આવશે. આ સિદ્ધિ ગુજરાતના શહેરી વિકાસના વિઝનને વધુ મજબૂત બનાવશે.
વૈશ્વિકસ્તરે યુદ્ધની સ્થિતિ વકરતા જ સુરતના સોના બજારમાં પાછલા 48 કલાકમાં અભૂતપૂર્વ સ્થિતિ સર્જાઈ છે. સામાન્ય રીતે સોનાના ભાવમાં 200 થી 500 રૂપિયાની વધ-ઘટ થતી હોય છે, પરંતુ રશિયા-યુક્રેન અને ઇઝરાયલ-ઈરાન વચ્ચેના વધતા તણાવને કારણે સુરતમાં સોનાના ભાવમાં માત્ર બે દિવસમાં અંદાજે 20,000નો જંગી વધારો થયો છે. બે દિવસમાં જ 20,000 રૂપિયાનો વધારોગુરુવાર સુધી બજારમાં સ્થિતિ પ્રમાણમાં શાંત હતી. સુરતના ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ અંદાજે 1,50,000 પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. શુક્રવાર અને શનિવાર દરમિયાન યુદ્ધની ગંભીરતા વધતા અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની ભારે લેવાલી નીકળતા, આજે સોમવારે 24 કેરેટ સોનાનો ભાવ 1,70,000ની સપાટી વટાવી ગયા છે. ખુશાલભાઈ જ્વેલર્સના માલિક દીપકભાઈ ચોકસીએ જણાવ્યું હતું કે, ઓવરઓલ જોવા જઈએ તો જ્યારે શેર માર્કેટ અને ગોલ્ડ માર્કેટની વાત કરીએ, તો જ્યારે પણ કોઈપણ જાતનું યુદ્ધનું માહોલ હોય છે ત્યારે શેર માર્કેટ ઘટતું હોય છે અને ગોલ્ડ માર્કેટમાં ખૂબ મોટો ઉછાળો આવતો હોય છે. આજે આપણે જોયું કે શુક્રવાર રાત પછી શેર માર્કેટમાં કડાકો આવ્યો, બે દિવસથી બંધ હતી ઇન્ડિયન માર્કેટ છતાં પણ આજે જે માર્કેટ ઓપન થયું છે એમાં સોના અને ચાંદીમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ઓવરઓલ જોવા જઈએ તો જ્વેલર્સ લોકોને ખૂબ મોટું નુકસાન હોય છે. દર વખતે સોનાના વધતા ભાવો વચ્ચે પણ જ્વેલર્સને નુકસાન હોય છે અને ઘટતા ભાવો વચ્ચે પણ નુકસાન હોય છે. કારણ એવું છે કે કસ્ટમર થોભો અને રાહ જુઓની નીતિ અપનાવે છે. અત્યારે ઓલરેડી બધા જ્વેલર્સને ત્યાં બિઝનેસ ઓછા હતા અને એમાં અત્યારે જોવા જઈએ તો ફરીથી પાછો ઉછાળો આવ્યો છે. જેટલો ભાવ નીચો અને સ્ટેબલ રહેશે એટલો જ્વેલર્સ લોકોને ફાયદો હોય છે. અત્યારે આ ફરીથી ઉછાળા અને ભાવોની વચ્ચે અત્યારે એવું લાગી રહ્યું છે કે જ્વેલર્સ લોકોને પાછું થોડી ઘરાકીનો પ્રોબ્લેમ અને બીજી બધી રીતે થોડી અસર આવતી રહે. યુદ્ધના માહોલની માર્કેટ પર અસરતેમણે આગળ જણાવ્યું કે, અત્યારે જે આખું અખાતી યુદ્ધ અને સાથે સાથે આપણે ભારત સુધીના પ્રદેશો એટલે અફઘાનિસ્તાન, પાકિસ્તાન આ બધી જગ્યાએ યુદ્ધનો જે માહોલ ચાલી રહ્યો છે, એમાં આપણું જે મિડલ ઈસ્ટમાં એક્સપોર્ટ હશે, ત્યાંથી આપણું ઈમ્પોર્ટ હશે આ બધી વસ્તુની વચ્ચે જ્યારે પણ આવું યુદ્ધનો માહોલ થશે ત્યારે ફરીથી જોવા જઈએ તો શેર માર્કેટ ઘટે છે અને બિઝનેસ ઘટતો હોય છે અને લોકો માટે અનિશ્ચિતતાનો અને ખાસ કરીને વેપારીઓ માટે આજે માહોલ છે એ બરાબર નથી ગણાતો. એટલે જ્યારે શાંતિનો માહોલ હોય છે ત્યારે વેપારી ખરેખર બિઝનેસ કરી અને કમાઈ શકતો હોય છે. શું આ ગોલ્ડ વેપારીઓ માટે 'બ્લેક મન્ડે' છે?આ ઓવરઓલ જોવા જઈએ તો આ રીતનો ઉછાળો આગળ પણ આવેલો હતો. જ્યારે ટ્રમ્પ સરકાર દ્વારા ટેરિફ વધારવામાં આવેલા હતા ત્યારે પણ આ રીતે ઉછાળો આવ્યો હતો. સોનામાં જ્યારે અત્યારે સેન્સિટિવ માર્કેટ છે, કોઈપણ જાતની મુવમેન્ટ વર્લ્ડમાં થતી હોય છે એની સીધી અસર હવે સોનાના માર્કેટ ઉપર જોવા મળતી હોય છે. એવું હવે લોકોએ પણ સ્વીકારેલું છે અને આપણે જોવા જઈએ છીએ તો આપણને રિઝલ્ટ પણ એવા દેખાય છે.
અમદાવાદમાં પશ્ચિમ ભારતનું પ્રથમ રશિયન કલ્ચરલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા ભાષા સાહિત્ય ભવન ખાતે રશિયન ભાષા અને સંસ્કૃતિ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાં રશિયન ભાષા અને સંસ્કૃતિ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. રશિયન એમ્બેસીના કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા રશિયન ભાષા અને સંસ્કૃતિ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમજ ભાષા ભવનમાં બનાવવામાં આવેલા રશિયન ભાષા અને સંસ્કૃતિ કેન્દ્રમાં કેવી વ્યવસ્થા કરવામાં આવી છે તે પણ નિહાળી હતી. નવા કોર્સ શરૂ થયા બાદ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશેશૈક્ષણિક સહયોગ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ થશે. વિદ્યાર્થીઓ સહિત નાગરિકો રશિયન સેન્ટરમાં રશિયાની સંસ્કૃતિ વિશે જાણકારી મેળવી શકશે. રશિયન ભાષા, સાહિત્ય, ઇતિહાસ અને સાંસ્કૃતિક પરંપરાઓના અભ્યાસ માટે કાર્યરત રહેવાનું છે. આ કેન્દ્ર રશિયન ભાષા શિક્ષણ, સાંસ્કૃતિક કાર્યક્રમો, ઇતિહાસ, શૈક્ષણિક ચર્ચા-વિમર્શ અને સહયોગી પહેલો વગેરે વિદ્યાર્થીઓ, સંશોધનકર્તાઓ, તથા શિક્ષણવિદો કેન્દ્રમાં સેવા આપશે. તેમજ આગામી સમયમાં નવા કોર્સ શરૂ કરવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. ઋષિ અને ભારતીય કલ્ચરલ ઘણું સમાન છેઃ કુલપતિગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, પશ્ચિમ ભારતમાં પ્રથમ રશિયન કલ્ચરલ સેન્ટર શરૂ કરવામાં આવ્યો છે. અપેક્ષા એવી છે કે ઋષિ અને ભારતીય કલ્ચરલ ઘણું સમાન છે. ભાષામાં પણ ઋષિ અને સંસ્કૃત ભાષામાં ઘણો મેલ જોવા મળ્યો છે. જેથી આવું કલ્ચરલ સેન્ટર ઊભું કરવાથી એક બીજાના દેશના સંબંધો મજબૂત થાય તેમજ તેની સાથે આગળ ઓળખાણ થાય તે જરૂરી છે. ઘણા બધા ભારતીય વિદ્યાર્થી રશિયામાં મેડિકલ અને એન્જિનિયરિંગ ભણવા માટે જાય છે. ‘વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા રશિયાથી ફેકલ્ટી આવશે’વધુમાં કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, કેવી રીતે ઋષિ કલ્ચર ભારતીય કલ્ચરને સમૃદ્ધ કરે તે દ્રષ્ટિએ રશિયન કલ્ચરલ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. રશિયાથી ફેકલ્ટી અહીંયા આવશે અને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવશે. તે લોકો અહીંયા આવશે અને જાત જાતના પ્રોગ્રામ ગોઠવશે. ત્યાંના પ્રસિદ્ધ ગાયક અને નૃત્ય માટે પણ વર્કશોપ ગોઠવીને વિદ્યાર્થીઓ શીખી શકે તે માટેની તાલીમ આપવામાં આવશે. ત્યાંથી પ્રોફેસર અને ફેકલ્ટી આવશે ત્યારબાદ જે કોર્સ શરૂ થશે તેની વિગતો પણ જાહેર કરવામાં આવશે.
બોટાદમાં વાત્સલ્ય ગ્રુપ દ્વારા નિરાધારોને મદદ:હોળી પર્વે ખજૂર, ધાણી-દાળિયા, બિસ્કિટનું વિતરણ કરાયું
બોટાદમાં વાત્સલ્ય નિરાધાર ફ્રી ટીફીન સેવા ગ્રુપ દ્વારા હોળીના પાવન પર્વ નિમિત્તે એક સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત નિરાધાર અને જરૂરિયાતમંદ લોકોને ખજૂર, ધાણી-દાળિયા અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય પ્રવૃત્તિનો મુખ્ય હેતુ સમાજના વંચિત વર્ગ સુધી તહેવારની ખુશી પહોંચાડવાનો અને સેવા ભાવનાને મજબૂત બનાવવાનો હતો. આ કાર્યક્રમને સ્થાનિક લોકો દ્વારા ખૂબ જ સરાહનીય ગણાવવામાં આવ્યો હતો. વાત્સલ્ય નિરાધાર ફ્રી ટીફીન સેવા ગ્રુપમાં કોર્ટના કર્મચારીઓ, વકીલો, ડોક્ટરો, પોલીસ કર્મચારીઓ અને બિલ્ડરો સહિત શહેરના અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સેવાકીય પ્રવૃત્તિઓ માટે જોડાયેલા છે. આ ગ્રુપ દ્વારા થતી સેવાકીય પ્રવૃત્તિઓથી લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વડોદરા શહેરમાં ફરી એક વખત રફતારના કારણે અકસ્માની ઘટના સામે આવી છે. વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ લકડીપુલ પાસેબેફામ સ્પીડમાં જઈ રહેલી બાઇકે સ્કુટર પર રસ્તો ઓળંગી રહેલી 3 વિદ્યાર્થીનીઓને ટક્કર મારી હતી, જેમાં એક વિદ્યાર્થીની ઋષિકા રાણા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. જેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાઈ છે. ઘટના બાદ તાત્કાલિક સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવતીઓને તાત્કાલિક એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં બાઇકની અતિઝડપ અને અકસ્માતની ભયાવહતા સ્પષ્ટ દેખાઈ રહી છે. રાવપુરા પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી છે અને બાઇકચાલકની શોધખોળ ચાલુ છે. સ્કૂટર ચાલક યુવતીની માતા નિશા ગોહિલે જણાવ્યું હતું કે, મને ફોન આવ્યો કે, તમારી દીકરીનો અકસ્માત થયો છે. અમે તાત્કાલિક રીક્ષા લઈને ત્યાં પહોંચ્યા હતા, પણ ત્યાં સુધીમાં બાઈક ચાલક ભાગી ગયો હતો. મારી દીકરી પણ નીચે પડી હતી, મારી દીકરીની ફ્રેન્ડના પગ પરથી એક રીક્ષા પણ પસાર થઈ ગઈ હતી. ડોક્ટરો બહુ કઈ કહેતા નથી, પણ એવું કહે છે કે પગમાં ફ્રેક્ચર થયું છે. તે ભાનમાં તો છે, પણ એને એટલો અસહ્ય દુખાવો થાય છે કે તે સતત બૂમો પાડી રહી છે. પ્લીઝ, એ બાઈક વાળાને પકડો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, બિચારી છોકરીઓ સાઈડમાં ઊભી હતી તોય આવીને ઉડાવી દીધી. હું તો એમ કહું છું કે એને પકડીને 6 મહિના કે વર્ષ માટે જેલમાં જ નાખી દેવો જોઈએ. આટલી પબ્લિક વચ્ચે 100ની સ્પીડે ગાડી ચલાવતા એને ભાન નથી પડતું? કડક સજા તો થવી જ જોઈએ. દરેક જગ્યાએ CCTV કેમેરા હોવા જોઈએ જેથી તરત ખબર પડે કે આવા લોકો કેવી રીતે અકસ્માત કરીને ભાગી જાય છે. મારી દીકરી અને તેની બહેનપણી બંને ફંગોળાઈને અલગ-અલગ બાજુએ પડી હતી. ત્રણેય વિદ્યાર્થીનીઓ એમ એસ યુનિવર્સિટીમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેઓ એક જ જગ્યાએ ટ્યુશનમાં અભ્યાસ કરતી હોવાથી ઘરથી એક સાથે જવા નીકળી હતી. ત્યારે અકસ્માત થયો હતો. જેમાં પાછળ બેઠેલી વિદ્યાર્થીનીને ઇજાઓ થઈ હતી. જ્યારે આ સ્કૂટરચાલક અને પાછળ બેઠેલ અન્ય એક વિદ્યાર્થીનીને ઇજાઓ થઈ નથી
શિયાળાની વિદાય અને ઉનાળાના પગરવ સાથે જ ગીરના જંગલોમાં કુદરતી સંપત્તિને આગથી બચાવવા માટે વન વિભાગ સજ્જ બન્યું છે. જંગલમાં અચાનક લાગતી આગ, જેને લોકભાષામાં 'દવ' કહેવામાં આવે છે, તેનાથી વન્યજીવો અને અમૂલ્ય વનસ્પતિને ભારે નુકસાન થતું હોય છે. આ વિનાશક આગને રોકવા માટે વન વિભાગ દ્વારા અત્યારે 'ફાયર લાઈન' તૈયાર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. 'કંટ્રોલ બર્નિંગ'ની પ્રક્રિયા શરૂ જંગલ વ્યવસ્થાપનમાં 'ફાયર લાઈન'એ આગને આગળ વધતી અટકાવવા માટેનો એક કૃત્રિમ અવરોધ છે. વન વિભાગના અધિકારી DCF પ્રશાંત તોમરના જણાવ્યા અનુસાર, દર વર્ષે ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન જ્યારે શિયાળો પૂર્ણ થવા પર હોય, ત્યારે જંગલના મુખ્ય માર્ગોની બંને તરફ અંદાજે 15-15 મીટરની પહોળાઈમાં સૂકું ઘાસ અને કચરો નિયંત્રિત રીતે સળગાવવામાં આવે છે. આ પ્રક્રિયાને 'કંટ્રોલ બર્નિંગ' કહેવામાં આવે છે. આનાથી રસ્તાની આસપાસ એક એવો પટ્ટો તૈયાર થાય છે, જ્યાં સળગી શકે તેવું કોઈ બળતણ (ઘાસ) બાકી રહેતું નથી, પરિણામે જો જંગલના કોઈ એક ભાગમાં આગ લાગે તો તે આ લાઈનને ઓળંગીને બીજા ભાગમાં પ્રસરી શકતી નથી. માત્ર આગ જ નહીં, રોગચાળા સામે પણ રક્ષણફાયર લાઈન તૈયાર કરવાના ઉદ્દેશ્યો માત્ર આગ રોકવા પૂરતા મર્યાદિત નથી, પરંતુ તેના અનેક પર્યાવરણીય ફાયદાઓ પણ છે. જેમાં…• હેબિટાટ ઓપનિંગ: ગીચ ઘાસચારો દૂર થવાથી વન્યપ્રાણીઓ, ખાસ કરીને સિંહો અને દીપડાઓ માટે હલનચલન માટેના માર્ગો ખુલ્લા થાય છે. • જીવજંતુઓનો નાશ: આ પ્રક્રિયાથી જંગલમાં ફેલાતી ઈતરડી (Ticks) અને અન્ય હાનિકારક જીવજંતુઓનો નાશ થાય છે. આ જીવજંતુઓ વન્યપ્રાણીઓમાં અનેક પ્રકારના રોગો ફેલાવતા હોય છે, જે આ પ્રક્રિયાથી અટકે છે.• ઈકો-સિસ્ટમની જાળવણી: સુવ્યવસ્થિત ફાયર મેનેજમેન્ટથી જંગલની ઈકો-સિસ્ટમ સુરક્ષિત રહે છે. પવનની દિશા અને આધુનિક સાધનોનો ઉપયોગઆ કામગીરી જેટલી જરૂરી છે એટલી જ જોખમી પણ છે. વન વિભાગનો સ્ટાફ જ્યારે 'કંટ્રોલ બર્નિંગ' કરતો હોય ત્યારે પવનની ગતિ અને તેની દિશાનું સતત નિરીક્ષણ કરવામાં આવે છે. જો પવન વધુ હોય તો આગ કાબૂ બહાર જવાની શક્યતા રહે છે, તેથી ખૂબ જ ચોકસાઈ રાખવી પડે છે. હાલમાં વનકર્મીઓ પરંપરાગત સાધનોને બદલે હાઈ-ટેક 'બ્લોઅર્સ' (Blowers) અને આધુનિક ફાયર કીટથી સજ્જ થઈને કામગીરી કરી રહ્યા છે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન વાયરલેસ નેટવર્ક સતત ધમધમતું રહે છે અને ફિલ્ડ સ્ટાફ દરેક પળની વિગતો કંટ્રોલ રૂમ સુધી પહોંચાડે છે, જેથી કોઈ પણ આકસ્મિક સ્થિતિને પહોંચી વળી શકાય. વન વિભાગના પ્રોફેશનલ એપ્રોચ અને એલર્ટ સિસ્ટમને કારણે ગીરનું હૃદય સમાન જંગલ અગ્નિના ખપ્પરમાં હોમાતા બચી જાય છે. વન વિભાગની આ પૂર્વ-તૈયારી વન્યજીવ પ્રેમીઓ માટે આશ્વાસનરૂપ છે કે એશિયાઈ સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન એવું ગીર અત્યારે સુરક્ષિત હાથોમાં છે.
શહેરના શાહપુર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ભવાનીસિંહ ચૌહાણ પાર્ટી પ્લોટ બંધ કરી તેની જગ્યાએ નવું અધ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટેની મંજૂરી આપવામાં આવી છે. શહેરના મધ્ય વિસ્તારમાં રૂ. 7.31 કરોડના ખર્ચે ત્રણ માળનું અધ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. જિમ્નેશિયમ, યોગા હોલ, પાર્કિંગ સહિતની સુવિધા વાળું અધ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે. પાર્ટી પ્લોટનું નવીનીકરણ કરવા માટેની મ્યુનિસિપલ કમિશનર સમક્ષ મંજૂરી માંગવામાં આવી હતી પરંતુ પાર્કિંગની સમસ્યા અને અન્ય બાબતોને ધ્યાનમાં રાખી અને ત્યાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. પાર્ટી પ્લોટના સ્થાને સ્પોર્ટસ કોમ્પલેક્સ બનશેરોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન જયેશ પટેલે જણાવ્યું હતું કે શહેરના શાહપુર વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના લાલા કાકા હોલ ની બાજુમાં જ ભવાનીસિંહ ચૌહાણ પાર્ટી પ્લોટ આવેલો છે જે પાર્ટી પ્લોટ જર્જરીત હાલતમાં અને તેનું નવીનીકરણ કરવાની જરૂરિયાત હતી પરંતુ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યા બાદ ત્યાં નવું અધ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો જેના માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. દ્વારા તેની ડિટેલમાં ડિઝાઇન વગેરે તૈયાર કરવામાં આવ્યું હતું રૂ. 7.31 કરોડના ખર્ચે ત્રણ માળનું સ્પોર્ટસ કોમ્પલેક્સ બનાવાશેપાર્ટી પ્લોટનો વિસ્તાર કુલ 2593 ચોરસ મીટર છે જેમાં બે માળનું પાર્કિંગની સુવિધા વાળું સ્પોટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. ગ્રાઉન્ડ ફ્લોર પર 669 ચોરસ મીટરમાં જીમનેશિયમ, યોગા હોલ, એડમીન રૂમ, લેડીસ એન્ડ જેન્ટ્સ ચેન્જ રૂમ વોશરૂમ વગેરે બનાવવામાં આવશે જ્યારે પ્રથમ માળ ઉપર 669 ચોરસ મીટર વિસ્તારમાં ટેબલ ટેનિસ કોર્ટ, કરાટે, જુડો, ડોર ગેમ અને વોશરૂમ બનાવવામાં આવશે જ્યારે બીજા માળ ઉપર 669 ચોરસ મીટર વિસ્તારમાં ડબલ હાઈટેડ બેડમિન્ટન કોર્ટ, ઇન્ડોર ગેમ્સ વગેરે કરવામાં આવશે જ્યારે ત્રીજા માળ ઉપર પણ આટલા ચોરસ મીટરમાં વોશ રૂમ સાથેની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. 857 ચોરસ મીટરમાં ટુ-વ્હીલર અને ફોરવીલર પાર્કિંગ સહિતની સુવિધાઓ હશે. ગ્રીન સ્પેસ એરિયા પણ રાખવામાં આવશે. રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં 7.31 કરોડના ખર્ચે અધ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે જેથી આગામી બે વર્ષમાં આ જગ્યા પર નવું સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનીને તૈયાર થશે જેનાથી શાહપુર દરીયાપુર સહિતના વિસ્તારના એક લાખથી વધુ યુવાનોને લાભ થશે.
ભરૂચમાં હોળી-રમઝાન પૂર્વે શાંતિ સમિતિની બેઠક:અનિચ્છનીય ઘટનાઓ ટાળવા અને ભાઈચારો જાળવવા અપીલ
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હોળી, ધુળેટી અને રમઝાન પર્વને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. પીઆઈ આર.એમ. વસાવાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકનો મુખ્ય હેતુ જિલ્લામાં તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે સુનિશ્ચિત કરવાનો હતો. બેઠકમાં ઉપસ્થિત તમામ સભ્યોને હોળી-ધુળેટી અને રમઝાન માસ દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રાખવા અપીલ કરવામાં આવી હતી. શાંતિ સમિતિના સભ્યોએ પણ પરસ્પર ભાઈચારા સાથે તહેવારો ઉજવવાની ખાતરી આપી હતી. આ બેઠકમાં દરેક પોલીસ ચોકીના થાણા પીએસઆઈ અને શાંતિ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા. પીઆઈ આર.એમ. વસાવાએ શાંતિ સમિતિના સભ્યો મારફતે લોકોને એક વિશેષ અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કેટલાક તત્વો 'સીઝર' બનીને લોકોને હપ્તા ભરવા માટે ધાકધમકી આપી પૈસાની વસૂલાત કરતા હોય છે. આવા તત્વો પાસે આવી કોઈ સત્તા હોતી નથી. જો આવા કોઈ લોકો દ્વારા હેરાનગતિ કરવામાં આવે તો તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા તેમણે અનુરોધ કર્યો હતો, જેથી આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય અને તેમને અંકુશમાં લાવી શકાય.
બોટાદ મુક્તિધામ ખાતે સત્સંગ કાર્યક્રમ યોજાયો:રામ સ્નેહી સત સ્વરૂપ રામ અંતર્ગત આયોજન કરાયું
બોટાદ મુક્તિધામ ખાતે છેલ્લા બે દિવસથી રામ સ્નેહી સત સ્વરૂપ રામ અંતર્ગત સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. થાનના ચમનભાઈ રાઠોડ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સ્મશાન યાત્રીઓને સત્સંગ અને વ્યસન ન કરવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુક્તિધામ નવનિર્માણના પ્રણેતા અને ગ્રીન મેન સી.એલ. ભીકડિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સત્સંગ દરમિયાન આદિ સતગુરુ સુખરામજી મહારાજના ઉપદેશોનું વર્ણન કરવામાં આવ્યું હતું. તેમના મતાનુસાર, સત સ્વરૂપ આનંદપદ જ્ઞાનભેદ સાથે શરીરમાં આવે છે અને તેના પર પ્રેમ ભાવ જાગૃત થતાં મનમાં નિશ્ચય થાય છે, જે પરમ મોક્ષનો એકમાત્ર ઉપાય છે. કૈવલ્ય જ્ઞાન વિજ્ઞાન સત્સંગ કાર્યક્રમ માટે સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના ખાખરાળી ગામના રામ દ્વારાનો સંપર્ક કરી શકાય છે. વધુમાં, મુક્તિધામ ખાતે સ્વજનના અવસાન નિમિત્તે અથવા ઘરે રામ નામનો સત્સંગ કરાવવા માટે બોટાદના અશોકભાઈ નો સંપર્ક કરવાથી તેઓ વિના મૂલ્યે અને સ્વખર્ચે આ સેવા પૂરી પાડશે.
અમેરિકા-ઈરાન યુદ્ધમાં મોટો વળાંક? ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યા 'વાતચીત'ના સંકેત
Middle East War 2026: મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર અને સ્ફોટક બની ગઈ છે. અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઇરાન પર કરવામાં આવેલા ભીષણ હુમલામાં ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈના મોત બાદ હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે જણાવ્યું છે કે તેઓ ઈરાનના બચેલા નેતૃત્વ સાથે વાતચીત કરવા તૈયાર છે. જોકે, બીજી તરફ ઈરાનના સુરક્ષા અધિકારી અલી લારીજાનીએ અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની વાટાઘાટો કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. ઈઝરાયલની રણનીતિ અને ખામેનેઈનું મોત
ઈરાન-ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધનો પ્રભાવ વૈશ્વિક સ્તરે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને એરસ્પેસ બંધ થવા જેવી સ્થિતિઓને કારણે ઇન્ટરનેશનલ પ્રવાસન ક્ષેત્ર પર સીધી અસર પડી રહી છે. આવા સંજોગોમાં પણ ગુજરાતી પ્રવાસીઓ ડરવાને બદલે સમજદારીપૂર્વક નિર્ણય લઈ રહ્યા છે અને કેન્સલેશનની જગ્યાએ પ્રવાસની તારીખમાં ફેરફાર કરાવી રહ્યા છે.
ખાડી દેશોમાં સર્જાયેલી યુદ્ધની ભયાનક સ્થિતિની સીધી અને માઠી અસર ડાયમંડ સિટી સુરતના શેરબજાર પર જોવા મળી છે. આજે સપ્તાહના પ્રારંભે જ રોકાણકારો માટે 'બ્લેક મન્ડે' સાબિત થયો છે. સુરતના અગ્રણી ટ્રેડર્સ અને સામાન્ય રોકાણકારોના પોર્ટફોલિયોમાં ગાબડાં પડ્યા છે. વૈશ્વિક અસ્થિરતાને કારણે સુરતનું કરોડોનું રોકાણ જોખમમાં મુકાતા રોકાણકારોમાં ભારે ફાળ પડી છે. સુરતના રોકાણકારોને અંદાજિત 200 કરોડનું નુકસાનબજારમાં આવેલા જોરદાર કડાકાને કારણે સુરતના અંદાજે 150 થી 200 કરોડના રોકાણનું ધોવાણ થયું હોવાનો અંદાજ છે. સુરત ટેક્સટાઇલ અને ડાયમંડ હબ હોવાની સાથે સ્ટોક માર્કેટનું પણ મોટું કેન્દ્ર છે, ત્યારે બજાર તૂટતા સ્થાનિક રોકાણકારોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, જાણકારો આને લાંબાગાળા માટે એક તક તરીકે પણ જોઈ રહ્યા છે. LT ના શેર 5% ગગડ્યા: ઈરાન કનેક્શન નડ્યુંદિગ્ગજ કંપની લાર્સન એન્ડ ટુબ્રો (LT) ના શેરના ભાવમાં આજે 5 ટકાનો ઘટાડો નોંધાયો છે. માર્કેટ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, ઈરાનમાં LT ના મોટા પ્રોજેક્ટ્સ કાર્યરત છે. યુદ્ધની સ્થિતિને કારણે આ પ્રોજેક્ટ્સ આગામી 2-3 અઠવાડિયા સુધી ઠપ્પ રહેવાની ભીતિ છે, જેની સીધી અસર શેરના ભાવ પર પડી છે. ફાર્મા સેક્ટરમાં તેજી, બાકી બજારમાં અસ્થિરતાએક તરફ જ્યારે ઓટો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર દબાણમાં છે, ત્યારે ફાર્મા સેક્ટરમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. યુદ્ધ જેવી કટોકટીમાં દવાઓ અને હેલ્થકેરની માંગ વધવાની અપેક્ષાએ ફાર્મા સ્ટોક્સ ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે. નિષ્ણાતોના મતે, આવી અનિશ્ચિતતાના સમયે ફાર્મા સેક્ટર હંમેશા સેફ હેવન (સુરક્ષિત રોકાણ) સાબિત થતું હોય છે. એક્સપર્ટ વ્યૂ: એકસાથે રોકાણ ટાળો, ટુકડે-ટુકડે ખરીદી કરોસ્ટોક માર્કેટ એક્સપર્ટ ભાસ્કર એન. બોરસલીવાલાએ જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષના અનુભવ મુજબ બજાર હજુ 2-3 અઠવાડિયા સુધી ખૂબ જ વોલેટાઈલ રહેશે. રોકાણકારોએ ગભરાવાની જરૂર નથી, પણ સાવચેતી રાખવી જરૂરી છે. અત્યારે એકસાથે બધી મૂડી રોકવાને બદલે 10-15% ના હિસ્સામાં રોકાણ કરવું જોઈએ. 3 મહિના પછી ફરી તેજી આવવાની શક્યતાબજારમાં અત્યારે ભલે ઘટાડો હોય, પણ વિશ્લેષકો માની રહ્યા છે કે આ ટૂંકા ગાળાની અસર છે. આગામી 3 મહિનામાં માર્કેટમાં ફરીથી રિકવરી અને તેજી જોવા મળી શકે છે. હાલના નીચા સ્તરે જો ગુણવત્તાયુક્ત શેરોમાં રોકાણ કરવામાં આવે, તો લાંબા ગાળે રોકાણકારોને મોટો નફો મળી શકે છે. અત્યારની સ્થિતિ 'વેઈટ એન્ડ વોચ' સાથે ધીમે ધીમે રોકાણ વધારવાની છે.
સાબરકાંઠામાં HPV રસીકરણ અભિયાનનો આજથી પ્રારંભ:હિંમતનગરમાં જિલ્લા આરોગ્ય અધિકારીની ઉપસ્થિતિમાં શરૂઆત
સાબરકાંઠા જિલ્લામાં આજે રાષ્ટ્રીય HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે. આ અભિયાન અંતર્ગત જિલ્લાના 50 આરોગ્ય કેન્દ્રો અને 13 સામુહિક આરોગ્ય કેન્દ્રો પર રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. હિંમતનગરના અર્બન સિવિલ હોસ્પિટલમાં જિલ્લા આરોગ્ય અધિકારીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા દીકરીઓના સ્વાસ્થ્ય સુરક્ષાના હેતુથી આ અભિયાન હાથ ધરાયું છે. ગર્ભાશયના મુખના કેન્સર જેવી ગંભીર બીમારી સામે રક્ષણ આપવા માટે આજ રસી, કાલ સુરક્ષાના મંત્ર સાથે આ રસીકરણ સોમવારથી શરૂ થયું છે. રસી સવારે 9 થી બપોરે 2 દરમિયાન આપવામાં આવશે. હિંમતનગરમાં અર્બન સિવિલ હોસ્પિટલ ખાતે સોમવારે HPV રસી આપવાનો કાર્યક્રમ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજ સુતરીયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ રસીકરણ અભિયાનમાં જાયન્ટ્સ સહિયર ગ્રુપ હિંમતનગર પણ જોડાયું હતું અને રસી લેનાર દીકરીઓને પ્રોત્સાહિત કરી હતી. સાબરકાંઠા જિલ્લાને HPV રસીના 4000 ડોઝ મળ્યા છે. આજથી શરૂ થયેલા આ અભિયાન હેઠળ કુલ 14,155 દીકરીઓને રસી આપવાનું લક્ષ્ય છે. આ કામગીરી આગામી સાત દિવસમાં પૂર્ણ કરવાનું આયોજન છે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજ સુતરીયાએ જણાવ્યું હતું કે, આ ગંભીર બીમારીને અટકાવવા માટે રસીકરણ એ સૌથી અસરકારક માધ્યમ છે. તેમણે સાબરકાંઠા જિલ્લાના જાગૃત નાગરિકો અને વાલીઓને વિનંતી કરી હતી કે તેઓ 14 વર્ષ પૂર્ણ થયા છે અને 15 વર્ષ પૂર્ણ નથી થયા તે વયજૂથની દીકરીઓને આ રસી અપાવી સુરક્ષિત કરે. ડૉ. સુતરીયાએ સરકારના આ મહત્વપૂર્ણ અભિયાનનો મહત્તમ લાભ લેવા પણ જણાવ્યું હતું. હિંમતનગર અર્બન સિવિલ હોસ્પિટલમાં પ્રારંભિક દિવસે 20 થી વધુ દીકરીઓને રસી આપવામાં આવી હતી.
બોટાદ સહિતના જિલ્લાઓના રોહિદાસ વંશી 212 વઢિયારા સમાજ (અનુસૂચિત સમાજ) દ્વારા બે દિવસીય બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સમાજના જૂના રીતિ-રિવાજોમાં ફેરફાર કરીને નવું બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે, જેને સમાજના તમામ સભ્યોએ સર્વસંમતિથી સ્વીકાર્યું છે. ધોળા ખાતે યોજાયેલી આ બેઠકમાં બોટાદ, ભાવનગર, અમરેલી, સુરત અને મુંબઈના રોહિદાસ વંશી 212 વઢિયારા સમાજના આગેવાનો, કાર્યકરો અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન લગ્ન, સગાઈ અને મરણવિધિ સહિતના પ્રસંગોમાં થતા ખર્ચાળ અને બિનજરૂરી રિવાજોમાં સુધારા કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. સગાઈ સંબંધિત નવા નિયમો અનુસાર, સગાઈ માટે ફક્ત 11 વ્યક્તિઓ જ જઈ શકશે. સોનાની કોઈ વસ્તુ લઈ જવાની રહેશે નહીં. ચા-પાણી સિવાય જમવાનું સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યું છે. કટલેરી લઈ જવાની, વીડિયોગ્રાફી કરાવવાની અને ગુટકા કે માવો લઈ જવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે. લગ્ન સંબંધિત મહત્વપૂર્ણ ફેરફારોમાં જાનમાં ફક્ત 125 લોકો જ જઈ શકશે. ડીજે વગાડવા અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સોનાના હારની પ્રથા બંધ કરીને ફક્ત 5 ગ્રામ સોનાની બુટ્ટી અને પગની ઝાંઝરી જ માન્ય રાખવામાં આવી છે. પહેરામણી પ્રથા પણ બંધ કરવામાં આવી છે, જ્યારે કરિયાવરમાં 1 શેટી, 1 પલંગ, રસોડા સેટ અને 5 જોડી કપડાં આપવાના રહેશે. મરણવિધિમાં પણ સુધારા કરવામાં આવ્યા છે. કારજમાં મર્યાદિત લોકો હાજર રહેશે અને કારજમાં આવનાર દરેક વ્યક્તિએ 50 રૂપિયાનો વ્યવહાર આપવાનો રહેશે. નિયમોના ભંગ બદલ દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. સગાઈના નિયમોનો ભંગ કરનાર પાસેથી ₹11,000 દંડ વસૂલવામાં આવશે, જ્યારે લગ્નના નિયમોનો ભંગ કરનાર પાસેથી ₹1,25,000 દંડ વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું છે. સમાજ દ્વારા લેવાયેલા આ નિર્ણયોને સમાજ સુધારાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. ખર્ચાળ અને દેખાવડા રિવાજોને બદલે સરળતા અને શિસ્તને પ્રાથમિકતા આપવાનો સંદેશો આપવામાં આવ્યો છે. ધોળા ગામે યોજાયેલી આ બેઠક સમાજમાં એકતા અને સંસ્કારનું નવું અધ્યાય શરૂ કરે છે. સમાજના આગેવાનો જગદીશભાઈ ચાવડા અને અરવિંદભાઈ મકવાણાએ આ અંગે માહિતી આપી હતી.
ઇઝરાયેલ અને અમેરિકા દ્વારા ઇઝરાયેલ પરના યુદ્ધની અસર રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના 1100 થી વધુ ઉદ્યોગકારો તેમજ ખેત ઉત્પાદનના ઓજારો, ફોટો મોબાઇલ્સ, એગ્રીકલ્ચર પ્રોડકશન એક્સપોર્ટ કરનારાઓને થઈ છે. આ સાથે જ MSME ઉદ્યોગકારોએ તો એક્સપોર્ટની શરૂઆત જ ગલ્ફ કન્ટ્રી સાથે કરી હતી. જોકે ત્યાં વેપાર કરવા માટેનો એકમાત્ર માર્ગ હોર્મુઝની સ્ટ્રેટ બંધ થઈ જતા ખૂબ જ મોટું નુકસાન થયું છે. રાજકોટમાં 2.46 લાખ સહિત રાજ્યમાં 21.82 લાખથી વધુ MSME ઉદ્યોગો છે. જોકે એર સ્પેસ અને માણસોની અવરજવર વિકટ બની છે ત્યારે આ યુદ્ધ જલ્દી બંધ થાય તે ઉદ્યોગકારો માટે ફાયદારૂપ છે. રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન ના પ્રમુખ નરેન્દ્ર પાંચાણીએ જણાવ્યું હતું કે, રાજકોટના એન્જિનિયરિંગના ઉદ્યોગકારો તેમજ સૌરાષ્ટ્રના ખેત ઉત્પાદક ઓજારો, ઓટોમોબાઇલ્સ અને એગ્રીકલ્ચર ઉદ્યોગો તેમજ મશીન ટૂલ્સની જુદી જુદી પ્રોડક્ટસનો મિડલ ઇસ્ટ અને ગલ્ફ દેશો સાથે વેપાર છે. મિડલ ઇસ્ટ દ્વારા જ આપણો અમેરિકા અને યુરોપ તેમજ આફ્રિકાના દેશો સાથેનો બિઝનેસ થાય છે. જ્યાં સરળ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ ગોઠવાયેલી હતી. જોકે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના યુધ્ધને કારણે આ બિઝનેસને માઠી અસર પહોંચી છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, ગલ્ફ કન્ટ્રી સાથે બિઝનેસ કરવા માટે હોર્મુઝની સ્ટ્રેટનો ઉપયોગ કરતા હતા. જોકે ઇઝરાયેલ દ્વારા હીરાન ઉપર હુમલો કરવામાં આવતા આ હોર્મુઝની સ્ટ્રેટ બંધ કરી દેવામાં આવી. તમામ દેશોની એર સ્પેસ આ દેશોમાં બંધ થઈ ગઈ છે. માણસોની અવર-જવર પણ વિકટ થઈ ચૂકી છે. જેથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને ખૂબ જ માઠી અસર પહોંચી છે. MSME સાથે જોડાયેલા ઉદ્યોગકારોએ એક્સપોર્ટની શરૂઆત મિડલ ઇસ્ટ એટલે કે દુબઇથી કરી છે. દુબઈ સૌથી મોટું ટ્રેડ ઝોન છે. ઇસ્ટર્ન સાઈડમાં આપણો વેપાર એટલો ન હતો જેટલો વેસ્ટર્ન સાઈડમાં છે. જેમાં વેસ્ટર્ન સાઇડ જતો વેપાર ગલ્ફ કન્ટ્રી મારફત થતો હતો. એન્જિનિયરિંગના 100% ઉદ્યોગકારોને માઠી અસર પહોંચશે.
ગુજરાતની ઔદ્યોગિક અને પરિવહન ક્ષમતામાં ક્રાંતિ લાવનારા પ્રોજેક્ટ્સ પર કેન્દ્ર સરકાર પૂરજોશમાં કામ કરી રહી છે. 01.03.2026 ના રોજ રેલ, માહિતી અને પ્રસારણ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રી અશ્વિની વૈષ્ણવે પશ્ચિમ રેલવેના મહત્વાકાંક્ષી 'અમદાવાદ-ધોલેરા સેમી હાઇ સ્પીડ રેલ કનેક્ટિવિટી' પ્રોજેક્ટની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સરખેજ-ધોલેરા ડબ્લિંગની સાથે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) અને ધોલેરા એરપોર્ટ વચ્ચેની 134 km લાંબી સ્પુર (SPUR) લાઇનના કાર્યોની પ્રગતિ નિહાળી હતી. વિશ્વનો પ્રથમ અનોખો રેલ પ્રોજેક્ટ પશ્ચિમ રેલવેના મુખ્ય પ્રશાસનિક અધિકારી (નિર્માણ) પ્રતિપ ગુપ્તાએ પ્રોજેક્ટની પ્રગતિ અંગે અશ્વિની વૈષ્ણવને વિગતવાર માહિતી આપી હતી. આ પ્રોજેક્ટ સમગ્ર દેશમાં સેમી હાઇ સ્પીડ રેલના પ્રોટોટાઇપ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તે 1676 mm બ્રોડ ગેજ પર વિકસાવવામાં આવનાર વિશ્વની પહેલી સેમી હાઇ સ્પીડ રેલ સિસ્ટમ હશે. આ ટ્રેકની મહત્તમ સંભવિત ગતિ 220 km/hr રહેશે, જે અમદાવાદ અને ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજન (SIR) વચ્ચેના અંતરને મિનિટોમાં કાપશે. પેસેન્જર અને માલગાડી એક જ ટ્રેક પર આ પ્રોજેક્ટની બીજી એક વિશેષતા તેની 'મિક્સ ટ્રાફિક સિસ્ટમ' (Mixed Traffic System) છે. ભારતમાં આ પ્રથમ એવી સેમી હાઇ સ્પીડ સિસ્ટમ હશે જ્યાં એક જ ટ્રેક પર માલગાડી 100 km/hr ની ઝડપે અને પેસેન્જર ટ્રેન 220 km/hr ની ઝડપે દોડશે. આ વ્યવસ્થાથી લોજિસ્ટિક્સ અને મુસાફરોની અવરજવર બંનેમાં અભૂતપૂર્વ ઝડપ આવશે. સેમિકન્ડક્ટર અને સોલર ઉદ્યોગો માટે ‘ગેમ ચેન્જર’ ધોલેરાને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં આ રેલ કનેક્ટિવિટી કરોડરજ્જુ સમાન સાબિત થશે. ખાસ કરીને સેમિકન્ડક્ટર ઉદ્યોગ અને સોલર એનર્જી ક્ષેત્રના એકમો માટે આ પરિયોજના મહત્વની ભૂમિકા ભજવશે. ગુજરાત જે રીતે સૌર ઊર્જામાં દેશનું અગ્રણી રાજ્ય છે, ત્યારે સોલર ઘટકોની વધતી માંગને આ રેલ લાઇન દ્વારા દેશના આંતરિક બજારો સુધી ઝડપથી પહોંચાડી શકાશે. કુશળ માનવ સંસાધન અને મલ્ટી-મોડલ કનેક્ટિવિટી આ પ્રોજેક્ટ માત્ર ઉદ્યોગો માટે જ નહીં, પણ રોજગાર માટે પણ મહત્વનો છે. અમદાવાદ જેવા મેટ્રો શહેરથી ધોલેરા જેવા સેટેલાઇટ શહેર સુધી કુશળ એન્જિનિયરો અને શ્રમિકોની અવરજવર સરળ બનશે. વધુમાં, આ લાઇન ફોર-લેન એક્સેસ કંટ્રોલ્ડ એક્સપ્રેસવે અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સાથે જોડાયેલી હોવાથી જવાહરલાલ નેહરુ પોર્ટ સુધીની નિકાસ સુવિધા પણ સુદ્રઢ બનશે. આ સમીક્ષા બેઠકમાં અમદાવાદના મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશ તેમજ નિર્માણ વિભાગના અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આધુનિક લોજિસ્ટિક્સ અને હાઇ-સ્પીડ કનેક્ટિવિટી દ્વારા આ પ્રોજેક્ટ ધોલેરા SIR ને વિશ્વ કક્ષાનું સશક્ત ઔદ્યોગિક કેન્દ્ર બનાવવામાં મોટી સફળતા અપાવશે.
(IMAGE - WIKIPEDIA) MHA Advisory India: મધ્ય પૂર્વ એશિયામાં સર્જાયેલા યુદ્ધના સંકટ અને ઈઝરાયલ-અમેરિકાના હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈના મોતના પગલે ભારતમાં પણ તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. આ ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશભરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે એડવાઈઝરી જાહેર કરી છે.
મહિલાને જાનથી મારી નાખવાની ધમકી:ગઢડામાં ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ, તપાસ શરૂ
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સમઢિયાળા ગામમાં એક મહિલાને જાનથી મારી નાખવાની ધમકી મળતા ચકચાર મચી છે. મહિલાએ ગામના જ ત્રણ શખ્સો વિરુદ્ધ ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદ મુજબ, સમઢિયાળા ગામના રહેવાસી મંજુબેન જમોડ પોતાની બહેનના ઘરે જઈ રહ્યા હતા ત્યારે ગામના કમાભાઈ ચંદુભાઈ ઓસુરા, અમિતભાઈ અશ્વિનભાઈ ઓસુરા અને મનીષભાઈ કમાભાઈ ઓસુરાએ તેમનો રસ્તો રોક્યો હતો. આરોપીઓએ તેમને ગાળો આપી હતી અને જો ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ, ત્રણેય આરોપીઓ લાકડીઓ લઈને મંજુબેનના ઘરે પહોંચ્યા હતા, જોકે કોઈ મારપીટ થઈ નહોતી. મંજુબેન અને તેમના પતિએ જીવના ભયને કારણે ગઢડા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ગઢડા પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ભરૂચની સરકારી ઇજનેરી કોલેજમાં ‘સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી’ (SSIP) સેલ દ્વારા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે એક દિવસીય ‘ડિઝાઇન થિંકિંગ વર્કશોપ’ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શહેરના જાણીતા સામાજિક ઉદ્યોગસાહસિક અને ‘સર્વ હેપીનેસ ફાઉન્ડેશન’ના સ્થાપક નીતિન ટેલર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઇલેક્ટ્રિકલ વિભાગના પ્રોફેસરો વિશાલ દોષી, વાય.બી. ભાવસાર અને પારુલ ઉપાધ્યાયે કાર્યક્રમનું ઉદ્ઘાટન અને સંચાલન કર્યું હતું. કોલેજના વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓએ આ વર્કશોપમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વર્કશોપ દરમિયાન પ્રો. વિશાલ દોષીએ ગુજરાત સરકારની SSIP પોલિસી વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે કોલેજ દ્વારા અત્યાર સુધીમાં લગભગ 75 નવીન વિચારોને સમર્થન આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ માટે કુલ રૂ. 22 લાખની આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવી છે. વિદ્યાર્થીઓને નવા વિચારો રજૂ કરીને પ્રોડક્ટ ડેવલપમેન્ટ તરફ આગળ વધવા પ્રોત્સાહિત કરાયા હતા. મુખ્ય વક્તા નીતિન ટેલરે પોતાના સામાજિક ઉદ્યોગસાહસિકતાના અનુભવો શેર કર્યા હતા અને વિદ્યાર્થીઓમાં ‘પ્રોબ્લેમ સોલ્વિંગ’ અભિગમ વિકસાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે હેલ્થકેર, વેસ્ટ મેનેજમેન્ટ અને પર્યાવરણ જેવા ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપ શરૂ કરીને સમાજલક્ષી નવીનતા લાવવા અપીલ કરી હતી. તેમણે નફા કરતાં સમાજમાં મૂલ્યવર્ધનને પ્રાથમિકતા આપવાનો સંદેશ પણ આપ્યો હતો. વર્કશોપના અંતે વિદ્યાર્થીઓએ સક્રિય ચર્ચા-વિચારણા કરી ડિઝાઇન થિંકિંગ પ્રક્રિયાની ઊંડી સમજ મેળવી હતી. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી અને માર્ગદર્શક સાબિત થયો હતો.
પાટણ-ઊંઝા ફોરલેન માર્ગ પર બાલીસણા નજીક નાળાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી અને ડાયવર્ઝન પર રાત્રિના સમયે પૂરતી લાઈટો ન હોવાથી અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. આ મામલે પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા માર્ગ અને મકાન વિભાગને રજૂઆત કરવામાં આવી છે. પાટણથી ઊંઝાને જોડતા ફોરલેન હાઈવે પર બાલીસણા ગામ પાસે નાળાના નિર્માણની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીના કારણે મુખ્ય માર્ગ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ડાયવર્ઝનવાળા ભાગ પર રાત્રિના સમયે ભારે અંધારું રહેતું હોવાથી વાહનચાલકોને રસ્તો ઓળખવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. અંધારાના કારણે વાહનો ખાડામાં ઉતરી જવાની કે નાના-મોટા અકસ્માતો થવાની ભીતિ સ્થાનિકો અને મુસાફરો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમસ્યા અંગે પદાધિકારીઓ અને વાહનચાલકોની ફરિયાદોને ધ્યાને લઈ પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. તેઓએ અગાઉ 14/02/2026 ના રોજ નાયબ કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન પેટા વિભાગ (રાજ્ય), સિદ્ધપુરને ઈમેલ મારફતે જાણ કરી હતી. તેમ છતાં પરિસ્થિતિમાં સુધારો ન આવતા, હવે કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), પાટણને પુનઃ રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યા અનુસાર, નિર્માણ હેઠળના બ્રિજ અને ડાયવર્ઝન પર રાત્રિના સમયે વાહનચાલકોની સુરક્ષા માટે LED લાઈટો ચાલુ રાખવી અત્યંત અનિવાર્ય છે. ડાયવર્ઝન પર પૂરતી લાઈટિંગ અને સાઈન બોર્ડના અભાવે મુસાફરોની સુરક્ષા જોખમાઈ રહી છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ સ્થળે પ્રકાશની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી ચેરમેન દ્વારા કરવામાં આવી છે જેથી કોઈ મોટી જાનહાનિ કે અકસ્માત સર્જાતા અટકાવી શકાય.
કચ્છ સોલાર પ્લાન્ટ કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો:બનાસકાંઠા LCBએ મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપ્યો
બનાસકાંઠા LCBએ કચ્છ પશ્ચિમ જિલ્લાના ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સોલાર પ્લાન્ટમાંથી થયેલી કેબલ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય એક ફરાર છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના બાદ LCB પાલનપુર દ્વારા મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. LCB પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન, ડીસા-પાલનપુર હાઈવે પર ભોયણ બસ સ્ટેન્ડ પાસે વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. તે સમયે એક સફેદ સ્કોર્પિયો ગાડી (રજી. નં. RJ 01 UB 6575) ને રોકવાનો ઈશારો કરતા ચાલકે ગાડી રોકી ન હતી અને પાલનપુર તરફ ભગાવી હતી. ગાડી શંકાસ્પદ જણાતા પોલીસે ખાનગી વાહનમાં તેનો પીછો કર્યો હતો. રસાણા ગામ પાસે રોડની સાઈડમાં ગાડી ઉભી રાખી ચાલક અને તેની સાથેનો ઈસમ ભાગવાનો પ્રયાસ કરતા એક ઈસમને પકડી લેવામાં આવ્યો હતો, જ્યારે બીજો ઈસમ નાસી છૂટ્યો હતો. પકડાયેલા ઈસમે પૂછપરછમાં આ મુદ્દામાલ કચ્છના ખાવડા ખાતેથી ચોરી કર્યો હોવાનું કબૂલ્યું હતું. પકડાયેલા આરોપીનું નામ સુશીલભાઈ રત્નારામ જાટ (ચૌધરી) (ઉ.વ. 21, રહે. શેખપુરા, તા. રિયાબડી, જિ. નાગૌર, રાજસ્થાન) છે. પોલીસે ચોરીમાં ગયેલા 150 કિલો રબર કોટેડ કોપર વાયર (કિંમત રૂ. 1,50,000), સ્કોર્પિયો ગાડી (કિંમત રૂ. 5,00,000) અને એક મોબાઈલ સહિત કુલ રૂ. 6,52,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ચોરી અંગે ખાવડા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ- 303(2) મુજબ ગુનો નોંધાયો છે. ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ- 35(1)E, 106 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ફરાર આરોપી કૈલાશ ઢાકા (રહે. ઠાટા, તા. હાંસોર, જિ. નાગૌર, રાજસ્થાન) ને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે.
વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશન પરાક્રમ હેઠળ કરજણ પોલીસને મોટી સફળતા મળી છે. બાતમીના આધારે કરજણ પોલીસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર એક ટેમ્પોમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો છે અને પોલીસે ઘટના સ્થળેથી બે શખ્સોની ધરપકડ કરી છે. કરજણ પોલીસ સ્ટેશનના પીઆઇ બી.એમ. પટેલ અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ભરૂચથી વડોદરા તરફ જઈ રહેલા એક ટાટા મોટર્સના 407 ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવેલો છે. આ બાતમીના આધારે પોલીસે સાંપાથી બોડકા તરફ જતા ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી ટેમ્પોને અટકાવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ટેમ્પો ખાલી જણાતો હતો, પરંતુ ઝીણવટભરી તપાસ કરતા ટેમ્પોના પાછળના ભાગે તળિયામાં એક 'ચોરખાનું' મળી આવ્યું હતું. આ ગુપ્ત ખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરના કુલ 1704 નંગ ટીન મળી આવ્યા હતા. પોલીસે જપ્ત કરેલો મુદ્દામાલ દારૂ/બીયરનો જથ્થો: કિંમત રૂ. 3,74,880ટાટા 407 ટેમ્પો: 1 મોબાઈલ ફોનકુલ મુદ્દામાલ: રૂ. 6,25,380 ઝડપાયેલા આરોપીઓ નામગબ્બર બાબુલાલ બનજારા (ઉં.વ. ૨૫, રહે. ખંડવા, મધ્યપ્રદેશ) મહેન્દ્ર શ્યામઅવધ યાદવ (ઉં.વ. ૪૪, હાલ રહે. વડોદરા, મૂળ રહે. આઝમગઢ, ઉત્તર પ્રદેશ) ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા અલગ અલગ જગ્યાએ રેડ કરીને કરોડો રૂપિયાનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેમાં પણ અલગ અલગ મોર્ડસ ઓપરેન્ડી કરીને બુટલેગરો દારૂની હેરાફેરી કરતા હતા.
પાટડી શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ મંગલ મહોત્સવનો ભવ્ય આરંભ થયો. સવારે મંગળ ચોઘડિયામાં આ મહોત્સવ શરૂ થયો હતો. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં સંતો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. 500 લિટર દૂધ, ઔષધિ, ફળોના રસ, ચંદન અને રંગો વડે શ્રી વર્ણીપ્રભુનો દિવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો. સવારની શણગાર આરતી બાદ શ્રી વર્ણીપ્રભુ સમક્ષ 1500 કિલો શાકભાજી અને ફળોની હાટડી ભરવામાં આવી હતી. મુખ્ય મંદિરમાં જનમંગલ સ્ત્રોત સાથે પૂજન કરાયું હતું. પ્રાંગણમાં શ્રી ગોપાળાનંદ સ્વામી રચિત બીજ મંત્ર યાગ અને શ્રી શિક્ષાપત્રી જળાભિષેક યાગનો પણ મંગળ પ્રારંભ થયો હતો. યાગ બાદ આહુતિ આપવામાં આવી હતી, જેમાં સંતો, ભક્તો અને મહિલા ભક્તો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. આ પછી ભવ્ય નગરયાત્રા નીકળી હતી. જેમાં શ્રી ધર્મવલ્લભદાસ સ્વામી, વિશાળ સંત સમુદાય અને નગર તેમજ બહારગામથી પધારેલા હરિભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. બેન્ડવાજા, ઢોલ, છત્ર-ચામર અને જલ કળશની કાવડને કારણે સમગ્ર વાતાવરણ દિવ્ય બન્યું હતું. બાદમાં મહા નિરાજન આરતીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.દિવ્ય આરતી પછી હરિભક્તોમાં આનંદની લાગણી અનુભવાઈ હતી.
ભરૂચમાં 'વિરાટ હિન્દુ સંમેલન' યોજાયું:નીલકંઠ વસ્તીએ સામાજિક સમરસતા અને એકતાનો સંદેશ આપ્યો
ભરૂચ શહેરના સિદ્ધનાથ નગર ગરબા મેદાન ખાતે રવિવારે નીલકંઠ વસ્તી અને સમગ્ર હિન્દુ સમાજના સંયુક્ત આયોજને 'વિરાટ હિન્દુ સંમેલન' યોજાયું હતું. સંગઠિત હિન્દુ, સમર્થ ભારતના નારા સાથે આયોજિત આ સંમેલનમાં મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા અને એકતા તથા સમરસતાનો સંદેશ પ્રસરાવ્યો હતો. સંમેલનની શરૂઆત ધર્મસભા સાથે કરવામાં આવી હતી. જેમાં આમંત્રિત સંતો અને મહાનુભાવોએ સમાજને સનાતન સંસ્કૃતિના મૂલ્યો, રાષ્ટ્રીય એકતા અને સામાજિક સુમેળ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વક્તાઓએ સમાજમાં સંગઠિત શક્તિ અને પરસ્પર સહકારના મહત્વ પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમના બીજા તબક્કામાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસ્તુતિઓમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા દેશભક્તિગીતો, નૃત્ય અને અન્ય પ્રસ્તુતિઓનો સમાવેશ થતો હતો, જેણે હાજર રહેલા શ્રોતાઓમાં નવી ઊર્જા અને ઉત્સાહનો સંચાર કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આ સંમેલન દ્વારા શહેરમાં એકતા અને સંગઠનનો સકારાત્મક સંદેશ પ્રસરાવવામાં આવ્યો હતો.
વલસાડ સિટી પોલીસે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ધોબી તળાવ અને આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં આકસ્મિક કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કાર્યવાહીમાં વાહન ચેકિંગથી લઈને લિસ્ટેડ ગુનેગારોના રહેઠાણો સુધી તપાસ કરવામાં આવી હતી. પોલીસની વિવિધ ટીમો દ્વારા કુલ 165 વાહનોનું સઘન ચેકિંગ કરાયું હતું. જેમાં 45 ફોર-વ્હીલર, 108 ટુ-વ્હીલર અને અન્ય રાજ્યોમાંથી આવતા 12 વાહનોનો સમાવેશ થાય છે. નિયમોનો ભંગ કરનારા ચાલકો પાસેથી સ્થળ પર જ ₹46,000નો ઈ-ચલણ દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત, મોટર વાહન અધિનિયમ 207 હેઠળ 9 વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા. વાહન ચેકિંગ ઉપરાંત, પોલીસે જાહેર સ્થળોએ પણ તપાસ હાથ ધરી હતી. જેમાં 9 હોટલ અને ગેસ્ટ હાઉસમાં મુસાફરોની વિગતો અને રજિસ્ટર ચેક કરાયા હતા. 10 એટીએમ સેન્ટરો પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. રેલવે અને બસ સ્ટેશનો પર પણ શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવામાં આવી હતી. ઓપરેશન દરમિયાન, પોલીસે 10 ભાડૂઆત અને ફાર્મ હાઉસની તપાસ કરી હતી. એક લિસ્ટેડ હિસ્ટ્રીશીટર અને 'એ' તથા 'બી' રોલના 8 ગુનેગારોની હિલચાલ પર નજર રાખવામાં આવી હતી. વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવા માટે 11 શંકાસ્પદ ઈસમોની અટકાયત કરીને તેમની પૂછપરછ કરવામાં આવી હતી. સીસીટીવી કેમેરાના ભંગ બદલ 11 કેસ પણ નોંધાયા છે. વલસાડ પોલીસ દ્વારા આગામી તહેવારો અને કાયદો-વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે સમયાંતરે આવા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવે છે. આનાથી અસામાજિક તત્વોમાં પોલીસનો ડર રહે છે અને નાગરિકો સુરક્ષિત અનુભવે છે.
દક્ષિણ ગુજરાતની સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા સુમુલ ડેરી દ્વારા હોળી-ધૂળેટીના તહેવારો પૂર્વે જ પશુપાલકો માટે ખુશીના સમાચાર આપવામાં આવ્યા છે. સુમુલ મેનેજમેન્ટે ગાય અને ભેંસના દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે વધારો કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી સુરત અને તાપી જિલ્લાના અંદાજે 2.50 લાખ પશુપાલકોની આવકમાં વાર્ષિક કરોડો રૂપિયાનો વધારો થશે. ખાસ કરીને મોંઘા ઘાસચારા અને માવઠાના માર વચ્ચે પશુપાલકોને આર્થિક ટેકો આપવા માટે ડેરી દ્વારા આ મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. ગાયના દૂધમાં 20 અને ભેંસના દૂધમાં 10નો વધારોસુમુલ ડેરીના સત્તાધિશોએ પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય લેતા જણાવ્યું છે કે, ગાયના દૂધના કિલો ફેટના ભાવમાં 20નો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ પશુપાલકોને ગાયના દૂધના કિલો ફેટે 830 મળતા હતા, જે હવે વધીને 850 થશે. તેવી જ રીતે, ભેંસના દૂધના ભાવમાં પણ 10નો વધારો કરવામાં આવ્યો છે. ભેંસના દૂધનો ભાવ 870 થી વધારીને 880 પ્રતિ કિલો ફેટ કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો તાત્કાલિક અસરથી અમલી બનતા પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વાર્ષિક 50 કરોડ અને માસિક 4 કરોડની વધારાની આવક થશેસુમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું હતું કે, આ ભાવ વધારાને કારણે સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને આર્થિક રીતે મોટો ફાયદો થવા જઈ રહ્યો છે. આ આંકડાકીય ગણતરી મુજબ, દૂધના ભાવમાં થયેલા આ વધારાથી પશુપાલકોને વર્ષે અંદાજે 50 કરોડથી વધુની વધારાની આવક પ્રાપ્ત થશે. જો માસિક ધોરણે વાત કરીએ તો, પશુપાલકોના ખિસ્સામાં દર મહિને અંદાજે 4 કરોડની રકમ વધારે જશે, જે ગ્રામીણ અર્થતંત્રને મજબૂતી પ્રદાન કરશે. મોંઘા ઘાસચારા અને માવઠાની આફત વચ્ચે 'સંજીવની' સમાન નિર્ણયચાલુ વર્ષે થયેલા કમોસમી વરસાદ (માવઠાં) અને તેને કારણે પશુઓના ઘાસચારામાં થયેલા નુકસાનને પગલે દૂધ ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો હતો. ખેડૂતો અને પશુપાલકો લાંબા સમયથી ભાવ વધારાની રાહ જોઈ રહ્યા હતા. પશુ આહારના વધતા ભાવ અને સારસંભાળના ખર્ચ સામે પશુપાલકોની આર્થિક સ્થિતિ કફોડી બની રહી હતી. તેવા સમયે સુમુલ ડેરીએ સમયસર ભાવ વધારો આપીને પશુપાલકો માટે 'સંજીવની' સમાન કાર્ય કર્યું છે, જેનાથી પશુપાલન વ્યવસાય ટકી રહેશે. અઢી લાખ પશુપાલકોના ઘરોમાં હોળીના તહેવારની રંગેચંગે ઉજવણીસુરત અને તાપી જિલ્લાની દૂધ મંડળીઓ સાથે અંદાજે 2.50 લાખ પશુપાલકો જોડાયેલા છે. હોળી અને ધૂળેટીના પવિત્ર તહેવારની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે જ ડેરી દ્વારા આ જાહેરાત કરવામાં આવતા પશુપાલકોએ આ વધારાને 'હોળી બોનસ' તરીકે વધાવ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલકો દ્વારા આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે, કારણ કે આ વધારાથી નાના અને મધ્યમ વર્ગના પશુપાલકોના જીવનધોરણમાં સુધારો થશે અને તહેવારોનો ઉત્સાહ બમણો થશે. દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ થવાની આશા: પશુપાલકોમાં રાજીપોભાવ વધારા અંગે પ્રતિભાવ આપતા જયેશ પટેલે વધુમાં ઉમેર્યું કે, જ્યારે ઉત્પાદન ખર્ચ વધે છે ત્યારે પશુપાલકો નિરાશ થતા હોય છે, પરંતુ જ્યારે સંસ્થા પશુપાલકોની પડખે ઉભી રહે છે ત્યારે દૂધના ઉત્પાદનમાં પણ વૃદ્ધિ જોવા મળે છે. આ ભાવ વધારાથી પશુપાલકો પ્રોત્સાહિત થશે અને આગામી દિવસોમાં સુમુલ ડેરીમાં દૂધની આવકમાં પણ વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે. પશુપાલન એ આ વિસ્તારના લોકોની જીવાદોરી છે અને આ નિર્ણયથી આ જીવાદોરી વધુ મજબૂત બની છે.
અમદાવાદ સાયન્સ સિટીમાં હિન્દુ સંમેલન યોજાયું:૫૫થી વધુ સોસાયટીના સભ્યોએ એકતાનો સંકલ્પ કર્યો
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં હિન્દુ સંમેલન યોજાયું હતું. સાયન્સ સિટી શ્રીજી વસ્તી હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ૫૫થી વધુ સોસાયટીના સભ્યોએ ભાગ લીધો હતો. આ સંમેલનનો મુખ્ય હેતુ હિન્દુ સમાજને સંગઠિત, સુરક્ષિત, સમરસ અને સમર્થ બનાવવાનો હતો. આયોજકોએ જણાવ્યું કે સમાજમાં એકતા અને જાગૃતિ લાવવી એ સમયની માંગ છે. કાર્યક્રમ દરમિયાન પાંચ મુખ્ય વિષયો પર નાટ્ય રજૂઆત અને વક્તવ્ય યોજાયા હતા. જેમાં કુટુંબ પ્રબોધન, પર્યાવરણ સંરક્ષણ, સામાજિક સમરસતા, નાગરિક કર્તવ્ય અને સ્વ બોધ – સ્વદેશી જેવા મુદ્દાઓનો સમાવેશ થતો હતો. આ પાંચ મુદ્દાઓને સમાજ અને રાષ્ટ્રને મજબૂત બનાવવાના આધારસ્તંભ ગણાવાયા હતા. કથાકાર જીગ્નેશ દાદા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આધુનિક પેઢીને હિન્દુ રીતિ-રિવાજોનું પાલન કરવા અપીલ કરી હતી અને ભવિષ્યમાં હિન્દુત્વને બચાવવા જાગૃત રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સંમેલનમાં સાંસ્કૃતિક રજૂઆતો, તલવારબાજી અને સેલ્ફ ડિફેન્સના પ્રદર્શનો પણ યોજાયા હતા. યુવાનો દ્વારા આપવામાં આવેલ સ્વરક્ષા પ્રદર્શનને ઉપસ્થિત લોકોએ ઉત્સાહપૂર્વક વધાવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા એકતા, સુરક્ષા અને સ્વાભિમાનનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આગામી ફૂલડોલ મહોત્સવ 2026ને ધ્યાનમાં રાખીને, જામનગરથી દ્વારકા જતા પદયાત્રીઓ અને સેવા કેમ્પના સ્થળોએથી ઉત્પન્ન થતા પ્લાસ્ટિક કચરાના નિકાલ માટે સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. આ અભિયાનમાં જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ વિવિધ ઔદ્યોગિક એકમોનો સહયોગ લેવામાં આવ્યો છે. જામનગર અને દ્વારકા સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ., નયારા એનર્જી લિ., ટાટા કેમિકલ્સ લિ., એસ્સાર કંપની, આર.એસ.પી.એલ. લિ., દિગ્વિજય સિમેન્ટ કંપની, અને અમદાવાદ સ્થિત નેપ્રા એન્વાયરમેન્ટલ સોલ્યુશન કંપની જેવી સંસ્થાઓ તેમના CSR અને CER કાર્યક્રમો હેઠળ આમાં જોડાઈ છે. આ કંપનીઓ દ્વારા જામનગરથી દ્વારકા હાઈવે પરથી પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં આવી રહ્યો છે. એકત્રિત કરાયેલા આ કચરાનું વૈજ્ઞાનિક ઢબે સિમેન્ટ પ્લાન્ટમાં કો-પ્રોસેસિંગ કરવામાં આવશે.
રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી 4 માર્ચના રોજ કરવામાં આવશે. હોળી બાદ એક દિવસ ગ્રહણ હોવાના કારણે ધૂળેટી નહીં ઉજવાય અને તેના પછીના દિવસે એટલે કે, બુધવારે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવશે. ત્યારે હાલમાં રંગોના પર્વની ઉજવણી માટે વડોદરામાં અબાલવુદ્ધ સૌ કોઈમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. બજારોમાં અવનવી પીચકારીઓએ બાળકોમાં આકર્ષણ જમાવ્યું છે. ખાસ કરીને ઇલેક્ટ્રોનિક પીચકારીની અને ઓર્ગેનિક તેમજ ફૂડ ફ્લેવર્સના રંગોની ખાસ ડિમાન્ડ જોવા મળી રહી છે. તો બીજી તરફ તંત્રએ નદીમાં નહાવા પર પ્રતિબંધ મુક્યો છે. કાર્ટૂન કેરેક્ટર્સ વળી પીચાકરીઓની વધુ માગનાના બાળકોમાં કાર્ટૂન કેરેક્ટર્સ ખુબ જ લોકપ્રિય બન્યા છે. બજારમાં ડોરેમોન, સ્પાઈડર મેન, કેપ્ટન અમેરિકા જેવા વિવિધ કેરેક્ટર્સ વળી પિચકારીઓ જોવા મળી રહી છે. જે બાળકોને ખુબ પસંદ આવી રહી છે. આ ઉપરાંત દીકરીઓ બાર્બીડોલ વાળી પિચકારી વધુ પસંદ કરી રહી છે. બાળકો પોતાના મનપસંદ ફુગ્ગાની ખરીદી તો અચૂક કરી જ રહ્યા છે. ઇલેક્ટ્રોનિક પીચકારીનું બાળકોમાં આકર્ષણ આ વર્ષે બજારમાં ઇલેક્ટ્રોનિક એટલે કે મોટર વાળી પીચકારી જોવા મળી રહી છે. જે પિચકારી એક વખત દબાવો એટલે તેમાંથી પાણી નીકળ્યા કરે છે. આ પિચકારી બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. પાંચ વર્ષથી વધુ ઉંમરના બાળકો આ પિચકારી ખુબ પસંદ કરી રહ્યા છે. ઓર્ગેનિક રંગોમાં પણ ફૂડ કલર્સ લોકોની પહેલી પસંદબજારમાં આ વખતે ઓર્ગેનિક કલર્સની ખુબ ડિમાન્ડ વધી છે. આ ઉપરાંત બજારોમાં ફૂડ કલર કે જે ત્વચા અને જીભ બંનેને નુકસાન ન કરે તેવા કલર્સ ઉપલબ્ધ છે. વિવિધ ફ્લેવરના કલર્સ જો મોમાં જાય તો પણ કોઈ નુકસાન ન થાય તેવા કલર લોકો પસંદ કરી રહ્યા છે. તેમાં પણ, ચોકલેટ, ગુલાબ, ગુલકંદ જેવી ફ્લેવર જોવા મળી રહી છે. શહેરમાં વિવિધ સ્થળોએ ડીજે એન્ડ રેઇન ડાન્સ પાર્ટીનું પણ આયોજનશહેરમાં કેટલાક પાર્ટી પ્લોટ્સમાં ધૂળેટીના દિવસે રેઇન ડાન્સ અને ડીજે પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. યુવાધન પોતાના મિત્રો સાથે આવી પાર્ટીમાં એન્જોય કરવા માટે પહોચી જશે, જેના માટે એડવાન્સ બુકિંગ પણ કરાવી દેવામાં આવ્યું છે. નદીમાં નહાવા જવા ઉપર પ્રતિબંધ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધૂળેટીના દિવસે નદીમાં નાહવા જવા માટે પ્રતિબંધ જાહેર કર્યો છે. તહેવારોના દિવસે નદીમાં નાહવા જતા અકસ્માત સર્જાયા છે અને ડૂબી જવાના અનેક કિસ્સા સમયે આવે છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહીસાગર, નર્મદા સહિતની નદીમાં નાહવા જાવ ઉપર પ્રતિબંધ જાહેર કર્યો છે.
વલસાડ શહેરના મોટાબજાર વિસ્તારમાં આવેલા મહાવીરસ્વામી જિનાલયની 116મી સાલગિરીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આચાર્યપ્રવર પદ્મદર્શનસૂરિજી મહારાજ અને મુનિ ત્રૈલોક્યમંડનવિજયજી મહારાજ સહિત શ્રમણ-શ્રમણી ભગવંતોની પાવન નિશ્રામાં આ મહોત્સવ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં પ્રભુભક્તોએ હાજરી આપી દર્શન-ભક્તિનો લાભ લીધો હતો. મહોત્સવ દરમિયાન જિનાલયના શિખર પર ધજા ચડાવવાનો લ્હાવો બાદરલાલ છગનલાલ મહેતા પરિવારે લીધો હતો. ધજાની ભવ્ય શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પર વાજતે-ગાજતે નીકળી હતી, જે બાદમાં મહાવીર સ્વામીના મંદિરે સંપન્ન થઈ હતી. સાલગિરી નિમિત્તે આયોજિત ધર્મસભામાં આશીર્વચન પાઠવતા આચાર્ય પદ્મદર્શનસૂરિજીએ જણાવ્યું હતું કે, “પ્રભુનું મંદિર એ પુણ્યનું પવિત્ર પાવરહાઉસ છે, જ્યાંથી સતત પવિત્ર ઊર્જા વહે છે. જ્યારે વ્યક્તિનું પુણ્ય નબળું પડે છે, ત્યારે જીવનમાં આધિ, વ્યાધિ અને ઉપાધિની આંધી ફૂંકાય છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સત્તા, સંપત્તિ કે સૌંદર્ય પાછળ દોડવાને બદલે પરમાત્માને પ્રેમ કરવો જોઈએ. પ્રભુ પરનો પ્રેમ મજબૂત હોવો જોઈએ. તેમણે કહ્યું કે, જે ભક્ત શિખર પર ચડતી ધજાના દર્શન કરે છે, તેના જીવનમાં ક્યારેય પડતી આવતી નથી. પૂજ્યશ્રીએ ફાગણ સુદ તેરસના દિવસનું મહત્વ સમજાવતા કહ્યું કે, આ દિવસે શત્રુંજય તીર્થ પર શ્રીકૃષ્ણના પુત્રો શાંબ અને પ્રદ્યુમ્ન સાડા આઠ કરોડ મુનિઓ સાથે મોક્ષે ગયા હતા. આજે લાખો જૈનો ‘જય આદિનાથ’ના નાદ સાથે 6 ગાઉની ફેરી કરી રહ્યા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી દિવસોમાં ચૂંટણી નજીક આવી રહી છે પરંતુ શહેરીજનોને પ્રાથમિક સુવિધા ના કામો અનેક વિસ્તારોમાં થયા નથી જેના કારણે પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરના બોપલ- ઘુમા રોડ ઉપર પ્લેઝર ક્લબ નજીક આવેલા ગુલમોહર નિર્વાણ સોસાયટી નજીક ગટર ઉભરાવવાની અને તૂટેલા રોડની સમસ્યા છેલ્લા કેટલાય સમયથી છે. જેના કારણે થઈને નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અને રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલય સુધી ફરિયાદો કરવામાં આવી છે છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. રોડ ખોદવા માટે મંજૂરી મળ્યા બાદ જ કામ થશે- હિતેષ બારોટથલતેજ વોર્ડના ભાજપના કોર્પોરેટર હિતેશ બારોટને બોપલ ઘુમા રોડ ઉપર ડ્રેનેજની અને રોડની સમસ્યાને લઈને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે નવી ડ્રેનેજ લાઈન નાખવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. ઘુમા સંસ્કારધામ તરફ જતા રોડ ઉપર ડ્રેનેજ લાઈન નાખવાની છે પરંતુ તેના માટે રોડ ખોદવો પડે છે અને જે રોડ રોડ રાજ્ય સરકારના રોડ બિલ્ડિંગ વિભાગમાં આવે છે જેના માટેની વિભાગ તરફથી મંજૂરી આપવામાં આવી નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગમાં પત્ર લખી જાણ કરવામાં આવી છે જેથી રોડ ખોદવાની મંજૂરી આપવામાં આવશે જે બાદ કામગીરી શરૂ થશે. સોસાયટીની ગટરનું પાણી રસ્તા પર આવતા પરેશાનીઘુમા વિસ્તારમાં આવેલા ગુલમોહર નિર્વાણ સોસાયટીની બહાર છેલ્લા કેટલાય સમયથી ગટર ઉભરાવવાની ખૂબ મોટી સમસ્યા સર્જાઈ છે. સોસાયટી દ્વારા ડ્રેનેજ કનેક્શન લેવામાં આવ્યું છે પરંતુ તેનું બધું પાણી બહાર ડ્રેનેજમાં ઉભરાય છે. ડ્રેનેજ કનેક્શન આપવામાં ન આવ્યું હોવાથી રોડના બહારના ભાગે ઉભરાય છે. ડ્રેનેજ લાઈન ન નાખી હોવાના કારણે રોડ ઉપર બધું પાણી જતું રહે છે લોકોને અવરજવરમાં ખૂબ જ તકલીફ પડી રહી છે. આખા રોડ ઉપર ગંદુ પાણી ઉભરાય છે જેના કારણે તીવ્ર વાસ પણ આવતી હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્થાનિક લોકો દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવી છે. છતાં કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિક લોકો દ્વારા મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજૂઆત કરવામાં આવીડ્રેનેજ લાઈન નાખવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્યાં પાઇપો ઉતારી દેવામાં આવી છે પરંતુ કામ ચાલુ કરવામાં આવ્યું નથી. આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલય સુધી પણ સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. પરંતુ કોર્પોરેશન અને ભાજપના કોર્પોરેટરો દ્વારા આ બાબતે ધ્યાન આપવામાં આવ્યું નથી. ડ્રેનેજ લાઈન નાખી નથી જેના કારણે ગંદકી ફેલાય છે અને રોગચાળો ફેલાવવાની પણ શક્યતા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બાબતે અવારનવાર અનેક રજૂઆત બાદ પણ કાર્યવાહી ન થતા ભારે રોજ ફેલાયો છે હવે ઝડપથી કોર્પોરેશન આ બાબતે નિરાકરણ લાવે તેવી માંગ સ્થાનિક લોકો કરી રહ્યા છે.
અમદાવાદ શહેરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલનો ભાણિયો વિશાલ ગુર્જર ગત(1 ફેબ્રુઆરી) રાત્રે દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો. મણિનગર પોલીસ સ્ટેશન પાસે વિશાલ ગુર્જરે દારૂ પીધેલી હાલતમાં ગાડી ચલાવી બે વાહનોને ટક્કર મારી હતી. લોકોના ટોળાએ વિશાલને મેથીપાક આપીને પોલીસને સોંપ્યો હતો.વિશાલ ગુર્જર યુથ કોંગ્રેસનો શહેર પ્રમુખ પણ રહી ચૂક્યો છે. જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. દારૂના નશામાં કાર ચાલકે અકસ્માત કર્યોમણિનગર પોલીસ સ્ટેશન પાસે સીટી કોર્નર હોટલની બાજુમાં રાતે એક વર્ના ગાડીએ બે વાહનોને ટક્કર મારી હતી.જેમાં એક ગાડી પર લિસોટા પડ્યા હતા.જ્યારે એક્ટિવા નીચે પડતા નુકસાન થયું હતું.અકસ્માત બાદ લોકોના ટોળા ભેગા થયા હતા. લોકોએ અકસ્માત કરનાર વર્ના કારના ચાલકને ગાડીમાંથી બહાર કાઢ્યો ત્યારે કાર ચાલક દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યો હતો. હિંમતસિંહ પટેલના ભાણિયાએ દારૂ પીને કાર ચલાવી અકસ્માત કર્યોઅકસ્માત કરનાર વર્ના ગાડીમાં બ્લેક ફિલ્મ લાગેલી હતી એટલું જ નહીં કારમાં આગળની તરફ NSUIની પ્લેટ પણ લાગેલી હતી.આ કારચાલક બીજું કોઈ નહીં, પરંતુ કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલનો ભાણિયો અને યુથ કોંગ્રેસનો પૂર્વ શહેર પ્રમુખ વિશાલ ગુર્જર હતો. વિશાલ ગુર્જરને લોકોએ ગાડીમાંથી બહાર કાઢીને મેથીપાક આપ્યોવિશાલ ગુર્જરને લોકોએ ગાડીમાંથી બહાર કાઢીને મેથીપાક પણ આપ્યો હતો.આ દરમિયાન મણિનગર પોલીસ સ્ટેશન નજીક હોવાથી મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ વાય.જે રાઠોડ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને આરોપીને છોડાવ્યો હતો.આરોપીએ નશાની હાલતમાં પીઆઇ સાથે પણ ગેરવર્તણુક કરી હતી.જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
સુરતશહેરમાં BRTS કોરિડોરમાં પ્રતિબંધ હોવા છતાં ખાનગી વાહનો ઘૂસી આવવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. રવિવારે બપોરે જહાંગીરપુરાથી અલથાણ જતી બસને કૈલાશનગર પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં રોંગ સાઈડમાં ધસી આવેલા ટેમ્પોએ બસને ટક્કર મારતા બસના આગળના ભાગના કાચના ફુરચા ઉડી ગયા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે, જે ચાલકની ગંભીર બેદરકારીની સાક્ષી પૂરે છે. રોંગ સાઈડમાં આવતા ટેમ્પોએ બસને મારી ટક્કરરવિવારે બપોરે આશરે 03:55 વાગ્યાની આસપાસ જહાંગીરપુરાથી અલ્થાણ ટર્મિનલ રૂટની બસ (નંબર E 147) તેના નિર્ધારિત માર્ગ પર જઈ રહી હતી. ડ્રાઈવર શંકરલાલ જાટ જ્યારે બસ લઈને કૈલાશનગર BRTS રેલિંગ પાસે પહોંચ્યા, ત્યારે અચાનક સામેથી એક ટેમ્પો કોરિડોરની અંદર ઘૂસી આવ્યો હતો. ટેમ્પો ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસના જમણી બાજુના આગળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસના કાચ તૂટીને રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા. CCTV ફૂટેજમાં ટેમ્પો ચાલકની ભૂલ સાબિત થઈઘટના બાદ તરત જ અકસ્માત સુપરવાઈઝર અને રૂટ સુપરવાઈઝર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તંત્ર દ્વારા આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતા સ્પષ્ટ થયું હતું કે, ભૂલ ટેમ્પો ચાલકની જ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રતિબંધિત રૂટ હોવા છતાં ટેમ્પો ચાલક પૂરઝડપે રોંગ સાઈડમાં આવી રહ્યો હતો. આ ફૂટેજને આધારે હવે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ બસને મોટું નુકસાન થયું છે. અવારનવાર ખાનગી વાહનો ઘૂસી આવતા વધતા અકસ્માતોસ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, BRTS રૂટમાં અવારનવાર ખાનગી વાહનો ઘૂસી જવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડાવીને ટુ-વ્હીલર અને ટેમ્પો ચાલકો શોર્ટ-કટ લેવા માટે કોરિડોરનો ઉપયોગ કરે છે. આ અગાઉ પણ આવા અનેક કિસ્સાઓ બન્યા છે જેમાં નિર્દોષ મુસાફરોએ જીવ ગુમાવ્યો હોય અથવા ઈજાગ્રસ્ત થયા હોય. કૈલાશનગર વિસ્તારમાં રેલિંગ હોવા છતાં ચાલકો જોખમી રીતે વાહનો હંકારી રહ્યા છે. પોલીસ ફરિયાદ અને કડક કાર્યવાહીની તજવીજસુરત મહાનગરપાલિકાના ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા આ મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે. સમગ્ર અકસ્માત અંગે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટેમ્પો ચાલક વિરુદ્ધ જાહેર મિલકતને નુકસાન પહોંચાડવા અને ટ્રાફિકના નિયમોના ભંગ બદલ કડક પગલાં લેવામાં આવશે.
અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી અકસ્માતોની ઘટનાઓમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે. માત્ર 48 કલાકના ટૂંકા ગાળામાં જિલ્લાના વિવિધ માર્ગો પર સર્જાયેલી દુર્ઘટનાઓમાં કુલ 7 વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ખાસ કરીને ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ડાયવર્ઝન અને અધૂરા કામો વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. હોળીના તહેવાર પૂર્વે જ સાત-સાત લોકોના મોતથી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જાફરાબાદ: બાઈક અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર, બે આશાસ્પદ યુવાનના મોત ગત 1લી માર્ચની મધ્યરાત્રિએ જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ અને કાગવદર વચ્ચે કાળમુખા ટ્રકે બાઈકને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં નાગેશ્રી ગામના રહેવાસી મનુભાઈ અરજણભાઈ સાંખટ (ઉં.36) અને રમેશભાઈ જાદવભાઈ સાંખટ (ઉં.41)નું ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વર્ષોથી હાઈવેનું કામ અધૂરું છે અને ડાયવર્ઝનના કારણે રાત્રિના સમયે વાહનચાલકો થાપ ખાઈ જાય છે, જે અકસ્માતનું મુખ્ય કારણ બની રહ્યું છે. લીલીયા: અજાણ્યા વાહને ત્રણ ખેતમજૂરનો ભોગ લીધો લીલીયાના ગુંદરણ ગામ નજીક મોડી સાંજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક અજાણ્યા ભારે વાહનની પાછળ બાઈક ઘૂસી જતાં મધ્યપ્રદેશના વતની એવા 3 ખેતમજૂરના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. આ અકસ્માતમાં અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર અર્થે ખસેડાયો છે. મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. અહીં ક્લિક કરી વાંચો સંપૂર્ણ અહેવાલ… રાજુલા પંથકમાં હિટ એન્ડ રનની બે ઘટના હોળીના રંગમાં ભંગ: પરિવારોમાં આક્રંદ એક તરફ જ્યારે સમગ્ર દેશ હોળી-ધૂળેટીના પર્વની તૈયારીઓમાં વ્યસ્ત છે, ત્યારે અમરેલી જિલ્લાના આ સાત પરિવારમાં માતમ છવાયો છે. તહેવારના દિવસોમાં જ સ્વજનો ગુમાવતા ગામડાઓમાં ગમગીની વ્યાપી ગઈ છે. રાજુલા અને લીલીયા પોલીસે અકસ્માતના ગુનાઓ નોંધી અજાણ્યા વાહનચાલકોની શોધખોળ હાથ ધરી છે. સ્થાનિકોની માગ છે કે, નેશનલ હાઈવેના અધૂરા કામો સત્વરે પૂરા કરવામાં આવે જેથી નિર્દોષ લોકોના જીવ બચાવી શકાય.
મધ્યપૂર્વના ભીષણ યુદ્ધની અસર, સેન્સેક્સમાં 7000 પોઈન્ટનો મહાકડાકો, નિફ્ટી પણ ધરાશાયી
Indian Stock market News : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની અસર સીધી ભારતીય શેરબજારમાં જોવા મળી છે. બજાર ખુલતા જ પ્રી ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સમાં લગભગ 7000 પોઈન્ટ તો નિફ્ટીમાં પણ 900 પોઇન્ટથી વધુ તૂટી ગઈ હતી. જોકે પછીથી તેમાં ઝડપી રિકવરી પણ દેખાઈ હતી. આ સમાચાર અપડેટ થઇ રહ્યા છે..
થોડા દિવસ પહેલા જ કોમી હિંસાના કારણે ચર્ચામાં આવેલા ગાંધીનગરના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં ઘરમાં ધમધમતા કતલખાના પર દરોડો પાડી પોલીસે 20 કિલો ગૌમાંસ સાથે ત્રણ શખસોને ઝડપી પાડ્યા છે. ઘરમાં કતલખાનું ચાલતું હોવાની માહિતીના પગલે સ્થાનિકોએ હોબાળો મચાવતા પોલીસે ઘર પર દરોડો પાડ્યો હતો. જ્યાંથી પોલીસે ગૌમાંસના અવશેષો મળી આવ્યા હતા. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા એક યુવક વાછરડું આપી ગયો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બહિયલના ગુજરાત કાંટા નજીકના ઘરમાંથી ગૌમાંસ ઝડપાયુંથોડા મહિના પહેલા જ દહેગામના બહિયલ ગામમાં કોમી હિંસા ફાટી નીકળી હતી. આ ઘટનાની ગંભીરતા પારખીને ખુદ ગૃહ મંત્રી હર્ષ સંઘવી ગામમાં દોડી ગયા હતા. અને ફરીવાર કોમી સુલેહ શાંતિનો ભંગ થાય નહિ માટે કાયદો વ્યસ્થા જાળવવામાં કોઈ કચાસ નહીં રાખવા પોલીસને કડક શબ્દોમાં સૂચના આપી હતી. તો વિધાનસભામાં પણ બહિયલમાં PI કક્ષાના પોલીસ મથકની મંજૂરી આપી દેવાઈ છે . ત્યારે ગામમાં સતત પેટ્રોલિંગ અને બાઝ નજર રાખવાની સૂચનાઓ હોવા છતાં પોલીસના નાક નીચે ત્રણ શખ્સોએ ગૌવંશનું કતલ કરી નાખ્યું હોવાની ઘટના ઘટી ચુકી છે. બહિયલ ગામમાં ગુજરાત કાંટાની પાસે રહેતા સાદાબ સજ્જાદભાઈ મલેકે ઘરને જ કતલખાનું બનાવી દીધું હતું. આની બુમરાણ ઉઠતા પોલીસ સાદાબના ઘરે દોડી ગઈ હતી. જ્યાં ઘરનો મુખ્ય અને પાછળનો દરવાજો અંદરથી બંધ હતો. પરંતુ ઘરમાં કટીંગનો સ્પષ્ટ સંભળાઈ રહ્યો હોવાથી પોલીસે દરવાજો ખોલાવ્યા હતો.જોકે ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું. ઘરના પાછળના રૂમમાં વચ્ચે પાથરણામા માંસ પડેલ હતુ અને ત્યાં માસુમ દેખાતા ત્રણ ઇસમો છરીઓ સાથે મળી આવ્યા હતા. લોકોના ટોળા એકઠા થઈ જતાં પોલીસે માંસ અને આરોપી પોલીસ સ્ટેશન લઈ ગઈઆ ઘટનાના પગલે ગ્રામજનો પણ મોટી સંખ્યામાં એકઠા થઈ રોષની લાગણી વરસાવી રહ્યા હતા. ત્યારે સ્થિતિ વણસે એ પહેલા તાત્કાલિક લોડીંગ રિક્ષા મંગાવી માંસનો જથ્થો સહિતના મુદ્દામાલ સાથે ત્રણેય શખ્સોને પોલીસ બહિયલ આઉટ પોસ્ટ લઈ ગઈ હતી. બાદમાં ત્રણેયની પૂછતાછમાં તેમણે પોતાના નામ સાદાબ સજ્જાદભાઇ મીરૂમીયા મલેક (ઉ.વ.19), મોઇન મુસ્તાકભાઇ ઉર્ફે મુસ્તુફામીયા ઇબ્રાહીમભાઇ સિપાઇ (ઉ.વ.21) અને મહંમદપરવેજ જાકીરહુસેન નજીરહુસેન કુરેશી (ઉ.વ.19) હોવાનું જણાવ્યું હતું. ત્યારે પશુ ચિકિત્સક પાસે માંસના જથ્થાનું પરીક્ષણ કરાવતા ગૌમાસ હોવાનું પુરવાર થયું હતું. જેના પગલે ત્રણેયની કડકાઈથી પૂછતાછ કરતાં બહિયલ ગામનો જ સાહિદ હનીફભાઈ અરબ ગાયનું વાછરડું આપી ગયો હોવાની ચોંકાવનારી કબૂલાત કરી હતી. ત્યારે પોલીસે ગૌમાંસના જથ્થાનો નાશ કરી ત્રણેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હોળી- ધુળેટીનો તહેવાર અને રમજાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કાયદો તેમજ વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેને લઈને પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને ચેકિંગ કરવામાં આવ્યું હતું. શહેરના અમરાઈવાડી, બાપુનગર, ખોખરા, રખિયાલ, ગોમતીપુર, દાણીલીમડા, મણીનગર, ઈસનપુર સહિતના અલગ અલગ વિસ્તારોમાં ડીસીપી, એસીપી અને પીઆઇ સહિતનો પોલીસ કાફલો રાત્રે રોડ પર ઉતર્યો હતો અને વાહન ચેકિંગથી લઈને ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. દાણીલીમડા અને ઇસનપુર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી ચેકિંગ કરવામાં આવ્યું હતું. દારૂ પીને વાહન ચલાવતા લોકોના ઝડપવામાં આવ્યા હતા. નંબર પ્લેટ અને કાળા કાચ વિનાની ગાડી સહિતના વાહનોને ડીટેઇન પણ કરવામાં આવ્યા છે. અમદાવાદ પૂર્વના વિસ્તારમાં નાઈટ વિઝન ડ્રોનથી ચેકિંગધુળેટી અને રમઝાન મહિનાના તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરના પૂર્વ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઝોન 6 વિસ્તારમાં આવતાં દાણીલીમડા, ઇસનપુર, મણીનગર સહિતના વિસ્તારોમાં પેટ્રોલિંગ દરમિયાન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નાઈટ વિઝન ડ્રોન દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં રમજાન મહિનો હોવાથી મોડી રાત્રે ધમધમતા ભીડભાળ વાળા બજારો, સાંકડી ગલીઓ અને મકાનની અગાસીમાં નાઈટ વિઝન ડ્રોન દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા નંબર પ્લેટ વિના વાહનોને ડીટેઇન કરવામાં આવ્યા હતા તેમ જ કાળા કાચની ગાડીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. દારૂ પીધેલા પણ ઝડપાયા હતા. 20થી વધુ પીધેલાઓ ઝડપાયાઝોન- 5 ડીસીપી જીતેન્દ્ર અગ્રવાલ એ જણાવ્યું હતું કે હોળી અને ધુળેટીના તહેવાર તેમજ રમજાન મહિનાને લઈને ઝોન 5માં આવતા રખિયાલ, ખોખરા, બાપુનગર, અમરાઈવાડી, નિકોલ સહિતના અલગ અલગ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ફ્લેગમાર્ચ અને પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. સંવેદનશીલ વિસ્તાર એવા હિન્દૂ અને મુસ્લિમ વિસ્તાર ભેગા થાય છે ત્યાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું DCP, 2 ACP, 8 PI સહીત 100 થી વધુ પોલીસકર્મી ફુટ પેટ્રોલિંગમાં હાજર રહ્યા હતા. હિસ્ટ્રી શીટર અને રીઢા ગુનેગારોમાં કાયદાનો ડર બેસાડવા માટે પેટ્રોલિંગ હાથ ધરાયું. રબારી કોલોની ચાર રસ્તા પર વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતું. પસાર થતા વાહનો અને કારમાં ચેકીંગ કર્યું હતું. દારૂ પીધેલા 20 થી વધારે લોકોને ઝડપી અને ડ્રીંક એન્ડ ડ્રાઈવનો કેસ પણ કરવામાં આવ્યો છે. પ્રતિબંધિત બ્લેક ફિલ્મ લગાવેલી 3 કારમાંથી બ્લેક ફિલ્મ પણ કાઢવામાં આવી હતી.
ચૈત્રી પૂનમ એ ચોટીલા ચામુંડા માતાનો દિવ્ય ઉત્સવનો દિવસ છે. આ દિવસે ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી શ્રદ્ધાળુઓના સંઘ પદયાત્રા કરીને માતાજીના દર્શન માટે ચોટીલા પહોંચે છે. બોટાદ શહેરના ગિરધરનગર અને શ્રીનાથજી સોસાયટીમાં છેલ્લા 54 વર્ષથી ચોટીલા ચાલીને જતા પદયાત્રીઓના સંઘ માટે એક અનોખો સેવા યજ્ઞ આજે પણ ચાલુ છે. શહેરના પાંચપડા વિસ્તારમાં આવેલી શ્રીનાથજી સોસાયટી અને ગિરધર સોસાયટીના રહીશો દ્વારા પાલીતાણા તેમજ ભાવનગર શહેરની આસપાસના ગામોમાંથી ચાલીને ચોટીલામાં ચામુંડા માતાના દર્શન માટે જતા સેંકડો યાત્રાળુઓના સંઘ માટે વ્યવસ્થા કરવામાં આવે છે. આ સેવા અંતર્ગત યાત્રાળુઓને રહેવા અને જમવાની વ્યવસ્થા તેમજ રાત્રી રોકાણ માટેની સુવિધા પૂરી પાડવામાં આવે છે. સોસાયટીની અંદર આ સંઘનું સામૈયું કરીને સ્વાગત કરવામાં આવે છે. માતા ચામુંડાના રથને રાત્રિ વિસામો કરાવીને વહેલી સવારે રવાના કરવામાં આવે છે. રાત્રિ ભોજન વ્યવસ્થામાં સેંકડો યાત્રાળુઓ અને સોસાયટીના સ્થાનિક રહીશો સાથે ભોજનનો આનંદ માણે છે. સ્વયંભૂ યુવાનો, કાર્યકરો અને બહેનો ભોજન તથા અન્ય વ્યવસ્થામાં જોડાય છે. છેલ્લા 54 વર્ષથી સોસાયટીમાં માતા ચામુંડાના દર્શનાર્થી સંઘનું આગમન સ્થાનિક રહીશો માટે એક આનંદનો પ્રસંગ બની જાય છે. લોકો હર્ષભેર તમામ પ્રકારની સેવા સ્વયંભૂ કરતા હોય છે. બોટાદ શહેરમાં ચાલતા આ સેવાયજ્ઞનો લાભ લઈને પદયાત્રીઓ ધન્યતા અનુભવે છે.
સાબરકાંઠા જિલ્લાના પોશીના પોલીસે દેલવાડાથી લાંબડીયા રોડ પરથી એક કારમાંથી રૂ. 15 લાખથી વધુનો 31.550 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. પોલીસે કાર ચાલકની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોશીના પોલીસ સ્ટેશનના PI ડી.એન. સાધુએ જણાવ્યું હતું કે, પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે દીપકકુમારને બાતમી મળી હતી. બાતમી મુજબ, એક હોન્ડા અમેઝ ગાડી (રજી.નં. GJ 02 BH 7066) દેલવાડાથી હડાદ તરફ જઈ રહી હતી અને તેમાં શંકાસ્પદ માદક પદાર્થ ભરેલો હતો. આ બાતમીના આધારે પોલીસે દેલવાડાથી લાંબડીયા રોડ પર વોચ ગોઠવી હતી. બાતમીવાળી ગાડી આવતા તેને રોકવામાં આવી હતી અને તપાસ કરતા તેમાંથી 31.550 કિલોગ્રામ સૂકો ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. 15,77,500 આંકવામાં આવી છે. પોલીસે ગાંજા ઉપરાંત બે મોબાઈલ ફોન (કિંમત રૂ. 15,000), હોન્ડા અમેઝ કાર (કિંમત રૂ. 3,00,000) અને રોકડ રૂ. 210 સહિત કુલ રૂ. 18,92,710 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા આરોપીની ઓળખ રીતેશ રસિકલાલ વ્યાસ (ઉં.વ. 48, રહે. ગોખરવા, તા. ચાણસ્મા, જિ. પાટણ) તરીકે થઈ છે. પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ સૈયદ અલી ખામેનાની તથા તેમની સાથે અન્ય લોકોના થયેલ મોતને લઈ ભાવનગર ખોજા શિયા સમાજ દ્વારા શહેરના આંબાચોક ખોજા મસ્જિદ ખાતે મોટી સંખ્યામાં લોકો શોકસભા જોડાયા હતા, અને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ખોજા સમાજ દ્વારા એક દિવસ માટે સ્વૈચ્છિક ધંધા રોજગાર બંધ રાખવા માટે સમાજના લોકોને અપીલ કરવામાં આવી છે, અને ખોજા સમાજના પરિવારજનો પણ પોતાના ઘરમાં પોતાન સ્વજન મૃત્યુ પામ્યા હોઈ તે રીતે 3 દિવસ માટે શોક મનાવશે. ત્રણ દિવસ શોક જાહેર કરવામાં આવ્યોઆ અંગે ભાવનગર ખોજા શિયા સમાજના પ્રમુખ સુલતાન ગભરાણીએ જણાવ્યું હતું કે, આજરોજ અમે લોકો અમારા મૌલાના અને પ્રેરણાસ્ત્રોત હતા એવા ઇરાનના મોલાના અયાતુલ્લાહ સૈયદ અલી ખામેની જે રીતે શહીદ થયા છે.તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અમે લોકો એકઠા થયા હતા. સાથે એમની ફેમેલી મેમ્બર હતા, એમના સાથીઓ હતા, એમને પણ શહીદ કરવામાં આવ્યા હતા, એટલે એમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આવ્યા હતા. આ ઉપરાંત ત્યાં એક સ્કૂલ હતી, જે દીકરીઓની સ્કૂલ હતી, તેમાં 40 થી 50 નિર્દોષ દીકરીઓ મૃત્યુ પામી છે, એમને પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. અમે શાંતિપૂર્ણ રીતે ખોજા અને શિયા સમાજે શ્રદ્ધાંજલિ પાઠવી છે. સાથે સાથે ઊંડા શોકની લાગણી અનુભવીએ છીએ. અને આ સિવાય અમારા સમાજની અંદર ત્રણ દિવસ સુધી શોક જાહેર કર્યો છે, જેમાં અમે એવી રીતે શોક મનાવશું જેમ કે અમારા ઘરનું કોઈ સભ્યો અમારાથી કાયમ માટે ચાલ્યું ગયું હોય, મૃત્યુ પામી હોય, અને જે રીતે ખાવું પીવું રહેવું કપડાં પહેરવા આ દરેક રીતે અમે લોકો શ્રદ્ધાંજલિ પાઠવીશું, અને સાથે સાથે એક દિવસ પૂરતું અમે સ્વૈચ્છિક વોલેન્ટ્રી અમારા સમાજના અપીલ કરી છે કે ધંધા રોજગાર બંધ રાખીશું, અને અમારા પ્રેરણા સ્તોત્ર મોલાના ખામેનાનીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... જો ધારાસભ્ય-મંત્રીનું અધિકારી નથી સાંભળતા તો લોકોના કામ કઈ રીતે કરાવી શકશે!ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી એક એવી છાપ ઉભી થઈ છે કે, સરકારમાં અધિકારીઓનુ રાજ ચાલી રહ્યુ છે. IAS અધિકારીઓને મળવા જનારા ધારાસભ્યોને સન્માન પણ આપતા નથી. તેમજ ધારાસભ્યોને બહાર બેસાડી રાખે છે. મળ્યા બાદ પણ સરખો જવાબ આપતા નથી કે કામ કરતા નથી.આ પ્રકારની અનેક ફરિયાદો સરકારમાં કરાતી આવી છે. સરકારે સૂચના આપ્યા બાદ પણ સ્થિતિ જેમની તેમ છે. હવે બેથી ત્રણ મંત્રીઓએ સીએમને ફરિયાદ કરી હતી કે, અમારી સાથે પણ આવુ જ વર્તન થઈ રહ્યુ છે. જેને પગલે GAD દ્રારા એક પરિપત્ર કરવો પડ્યો જેમાં જણાવાયુ કે, ચૂંટાયેલા પ્રતિનિધિનુ માન સન્માન જાળવવુ તેમજ તેમને સાંભળીને યોગ્ય કરવુ. આવી સૂચનાનુ પાલન નહી કરનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરાશે.જેને પગલે સોશિયલ મીડિયામાં લોકો મજા લઈ રહ્યા છે અને ચર્ચા કરી રહ્યા છે કે, જો તંત્ર પાસેથી કામ લેવાની મંત્રીઓ પાસે આવડત જ ન હોય અને પોતાના માન સન્માન માટે મુખ્યમંત્રીને કહેવુ પડતુ હોય તો પછી લોકોના કામો કઈ રીતે કરાવી શકશે. જ્યારે IAS અધિકારીઓ એકબીજા સાથે ચર્ચા કરી રહ્યા છે કે, સરકાર છે, સૂચનાઓ આપે,પરિપત્રો કરાવે પણ દરેક વસ્તુનો અમલ તો આપણે જ કરવાનો છે ને. 2027ની ચૂંટણી પછી હાલના મંત્રીમંડળમાંથી ગણ્યાગાંઠ્યા જ મંત્રીઓ રીપિટ થવાના છે માટે બહુ ચિંતા કરવાની જરુર નથી. મહિલા IAS અધિકારીના ઈમેઈલ છુપી રીતે ચેક થતા હતા, સરકાર અજાણગાંધીનગરમાં ફરજ બજાવતા એક મહિલા IAS અધિકારીની મંજૂરી વગર છૂપી રીતે તેમના ઈમેઈલ ચેક કરાતા હતા. આ વાત બહાર આવતા જ ઓફિસમા હડંકપ મચી ગયો હતો. ઓફિસમાંથી જ કોઈએ મહિલા અધિકારીનુ ધ્યાન દોરતા તપાસ થઈ હતી અને સમગ્ર મામલો સામે આવ્યો હતો.IAS અધિકારીના પીએ કે પીએસ પાસે અધિકારીના ઈમેઈલ એડ્રેસ અને પાસવર્ડ હોય છે. પણ એ સિવાય કોઈ પાસે પાસવર્ડ હોતા નથી. અત્રે નોંધનીય છે કે,ઉચ્ચ અધિકારીના મેઈલ પર અનેક જાતની સંવેદનશીલ માહિતી આવતી હોય છે. ઉધોગોના ઈમેઈલ પણ આવતા હોય છે. જે માહિતી વાંચીને બીજા કોઈને પણ પહોંચાડતા હોવાની આશંકા છે. કેમકે આ માહિતી ખુબ જ ખાનગી અને ઉપયોગી હોય છે. કોન્ટ્રાક્ટ પર નોકરી કરતો આઈટીનો કોઈ માણસ જ મેડમના ઈમેઈલો વાંચતો હતો. તે ઈમેઈલનુ સર્વર મેનેજ કરતો હોવાની પણ ચર્ચા છે. ઈમેઈલનુ કૌભાંડ બહાર આવ્યા બાદ આ કર્મચારીની હકાલપટ્ટી કરી દેવાઈ છે. આ બાબત ઘણી જ ગંભીર હોવા છત્તા સરકારને પણ ખબર પડવા દેવાઈ નથી. IAS અધિકારીની બદલીમાં સરકારની અનિર્ણાયકતા ફરીથી બહાર આવી IAS તથા IPS સહિતના ટોચના અધિકારીઓની બદલી કરવામાં સરકારની સ્પષ્ટ નીતિ દેખાતી નથી.બદલીઓના ઓર્ડર થયાના ગણતરીના દિવસોમાં જ બદલી થયેલા કેટલાક અધિકારીઓની ફરીથી બદલી કરી દેવામાં આવે છે. સારી ઈમેજ ધરાવતા અને મજબુત ગણાતા અધિકારીઓને સાઈડ પોસ્ટિંગ અપાય છે. જ્યારે સરકારની ચાપલુસી કરનારા અધિકારીઓને સારા પોસ્ટિંગ મળતા હોય છે.સામૂહિક બદલીઓ કરાયા બાદ પણ ખાસ કોઈ કારણો વગર અવારનવાર સિંગલ ઓર્ડરથી બદલીઓ થતી હોય છે. ગત અઠવાડીયે સરકારે કરેલા આવા જ એક ઓર્ડરમાં ફરીથી અનિર્ણાયકતા બહાર આવી છે. અગાઉ ગુજરાતના ચૂંટણી પંચના સીઈઓ તરીકે રહેલા હારીત શુક્લાને જીએડીના એઆરટી અને એનઆરઆઈ વિભાગનો તેમજ પોર્ટ અને ટ્રાન્સપોર્ટનો વધારાનો હવાલો આપ્યો હતો.હવે તેમને મુખ્ય ચૂંટણી અધિકારીની જવાબદારીમાંથી મુક્તિ અપાઈ છે. જેથી બ્યુરોક્રેટ્સમાં એવી ધારણા હતી કે, પોર્ટનુ ડીપાર્ટમેન્ટ ખુબ જ મોટું હોઈ, શુક્લાને આ ખાતાનો જ નિયમિત હવાલો સોંપી દેવાશે. પરંતુ એવુ બન્યુ નથી. તેને બદલે તેમે જીએડીના એઆરટી એને એનઆરઆઈ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકેના વધારાના હવાલામાંથી મુક્ત કરીને ત્યાં જ નિયમિત કરી દેવાયા છે. ઉપરાંત પોર્ટ તેમજ સ્પીપાનો વધારાનો અગાઉનો હવાલો પણ ચાલુ રખાયો છે. પોસ્ટિંગની ફાઇલ અટવાઈ, DGPએ લીધો સીધો નિર્ણય!રાજ્યના પોલીસતંત્રમાં છેલ્લા કેટલાય સમયથી ‘વેઈટિંગ ફોર પોસ્ટિંગ’ મુદ્દે ગૂંચવણ ચાલી રહી હતી. લગભગ 6 મહિનાથી 11 વરિષ્ઠ અધિકારીઓ સત્તાવાર નિમણૂંક વિના હતા. ગૃહવિભાગ તરફથી અંતિમ નિર્ણયની રાહ જોતા-જોતા વાત ચર્ચાનો વિષય બની ગઈ હતી. આ દરમિયાન DGP કચેરીએ પરિસ્થિતિ લાંબી ન ખેંચાય તે માટે 11માંથી 6 અધિકારીઓને વચગાળાની જવાબદારી સોંપી દીધી. સામાન્ય રીતે IPS અધિકારીઓની નિમણૂંકનો હુકમ ગૃહવિભાગ દ્વારા જ જાહેર થતો હોય છે, પરંતુ આ વખતે ઓર્ડર સીધા DGP કચેરીમાંથી બહાર પડતા સચિવાલયમાં ચર્ચા ચાલી. પોલીસ વિભાગમાં એક બાજુ સ્ટાફની અછત અને બીજી બાજુ અનુભવી અધિકારીઓ નિમણૂંક વગર — આવી પરિસ્થિતિ વચ્ચે આ ‘ઇન્ટરિમ એડજસ્ટમેન્ટ’ને પ્રેક્ટિકલ નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યો છે. અધિકારીઓ માટે આ પૂર્ણ પોસ્ટિંગ નહીં ગણાય, છતાં લાંબા સમયથી અનિશ્ચિતતામાં રહેવાને બદલે સક્રિય થવાનો મોકો મળ્યો છે. હવે નજર એ પર છે કે ગૃહવિભાગ આ મુદ્દે કાયમી નિર્ણય ક્યારે લે છે. સારી જગ્યાએ પોસ્ટિંગ માટે IPS અધિકારીઓનું લોબિંગ!ગુજરાતમાં IPS અધિકારીઓની બદલીઓની ચર્ચા વચ્ચે વેઇટિંગ ફોર પોસ્ટિંગ પર રહેલા 6 જેટલા IPS અધિકારીઓને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. IPS અધિકારીઓને આપવામાં આવતા અન્ય અધિકારીઓની પણ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા બદલીઓની ચર્ચા છે. પરંતુ જે પ્રમાણે પોસ્ટિંગ આપવામાં આવ્યા છે તેમાં સરકાર ઢીલુ મુકવા માંગતી નથી. IPS અધિકારીઓમાં ચર્ચા જાગી છે કે જે પ્રમાણે પોસ્ટિંગ આપવામાં આવ્યા છે તેમાં કેટલાક અધિકારીઓને સરકાર સામે વાંકું પડ્યું હતું. જેથી તેમને અત્યારે હાલ આ પ્રમાણેની પોસ્ટિંગ મળી છે. આગામી દિવસોમાં સરકારની સાથે રહેનારા અધિકારીઓને સારું પોસ્ટિંગ મળે તેના માટે હવે સરકારના મંત્રીઓ અને ઉચ્ચ નેતાઓ સાથે સારા સારી કરી અને લોબિંગ પણ કરવાનું શરૂ કર્યું હોવાની ચર્ચા છે. હોળી-ધૂળેટી પર્વ હોવાથી આ આખા અઠવાડીયામાં વિધાનસભાની એક પણ બેઠક નહી મળે આજે સોમવારે હોળાષ્ટક છે અને મંગળવારે ચંદ્ર ગ્રહણ હોવાથી ધૂળેટીનુ પર્વ બુધવારે ઉજવાશે. જેથી બુધવારે ધૂળેટી નિમિતે જાહેર રજા છે. હવે જો વિધાનસભા ચાલુ રાખવામાં આવે તો મંત્રીઓને દોડધામ વધી જાય તેમ છે. જેથી સરકારે વચલો રસ્તો કાઢીને વિધાનસભા સત્રમાં જે કુલ બેઠકો મળવાની હતી તેનો સરવાળો કરીને શનિવારે પણ વિધાનસભા ચાલુ રાખી હતી. જેથી મંગળવારની બેઠકની સરભર થઈ જશે. જેથી સોમવારથી શનિવાર સુધી વિધાનસભાની એકપણ બેઠક મળવાની નથી.સિનિયર ધારાસભ્યોનુ કહેવુ છે કે, ગુજરાતના ઈતિહાસમાં કદાચ આવુ પ્રથમ વખત બની રહ્યુ છે. કેમકે એકવખત વિધાનસભાનુ સત્ર ચાલુ થયા બાદ એક અઠવાડીયા સુધી એકપણ બેઠક મળી નહોય તેવુ આ અગાઉ ક્યારય બન્યુ નથી. બે વર્ષ પછી સાથી અધિકારીઓ મળ્યા છતા કેટલીક ખુરસીઓ ખાલી રહીરાજ્યના વરિષ્ઠ બ્યુરોક્રેટ્સ માટે ગાંધીનગર જીમખાના ખાતે મળવાનો અવસર લાંબા વિરામ બાદ આવ્યો. IAS એસોસિયેશન દ્વારા નવા મુખ્ય સચિવ મનોજ દાસને આવકારવા અને નિવૃત્ત અધિકારીઓને વિદાય આપવા કાર્યક્રમ યોજાયો. બે વર્ષથી અટકેલી પરંપરા ફરી શરૂ થતા અધિકારીઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો. પરંતુ કાર્યક્રમ દરમિયાન કેટલાક જાણીતા અધિકારીઓની હાજરી ન દેખાતા ગપસપનો સૂર પણ સંભળાયો. મુખ્ય સચિવ દિલ્હીની અચાનક મીટિંગને કારણે હાજર રહી શક્યા નહોતા. કેટલાક અન્ય અધિકારીઓ પણ બહારગામ હોવાના કારણે ગેરહાજર રહ્યા. તેમ છતાં, મોટા ભાગે અધિકારીઓએ કાર્યક્રમને સકારાત્મક સંકેત તરીકે લીધો — લાંબા સમય પછી એકતા અને સંવાદનું મંચ તૈયાર થયું. 2024ના ફ્રેશ IAS અધિકારીઓને 'હોટેલ લીલા'માં જમાડાયાતાજેતરમાં જ 2024ની બેચના IAS અધિકારીઓ ગુજરાતમાં આવ્યા હતા.તેઓને આદર સત્કાર કરવા માટે તેમના માટે ગાંધીનગરની હોટેલ લીલામાં ખાસ ભોજન સમારોહ ગોઠવાયો હતો. પ્રાથમિક શિક્ષણ સચિવ મિલિંદ તોરવણે દ્રારા ભોજનનુ આયોજન કરાયુ હતુ. જેમાં હાયર એજ્યુકેશનના એડિશનલ ચીફ સેક્ટેરી મુકેશકુમાર તેમજ એનર્જી ડીપાર્ટમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિનીકુમાર પણ ખાસ હાજર રહ્યા હતા. તેમજ ફ્રેશર્સ સાથે હળીમળીને વાતો કરી હતી. તેમજ તેમના કેટલાક પ્રશ્નોના જવાબો આપ્યા હતા. કેટલીક મહત્વની બાબતોમાં માર્ગદર્શન પણ આપ્યુ હતુ. સિનિયર અધિકારીઓએ નવા આઆએએસ અધિકારીઓને સારી કારર્કીદી માટેની શુભેચ્છા પણ આપી હતી. ચીફ એન્જિનિયરથી સચિવ…કેડર સમીકરણમાં નવી હલચલ?તાજેતરમાં રાજ્ય સરકારે એક ચીફ એન્જિનિયરને સીધા સચિવ કક્ષાએ બઢતી આપતા વહીવટી વર્તુળોમાં નવી ચર્ચા શરૂ થઈ છે. પરંપરાગત માન્યતા મુજબ સચિવ પદ IAS કેડર સાથે જોડાયેલું માનવામાં આવતું હોવાથી આ નિર્ણયને કેટલાક અધિકારીઓ ‘સ્ટ્રક્ચરલ શિફ્ટ’ તરીકે જોઈ રહ્યા છે. જોકે સત્તાવાર રીતે કોઈ અસંતોષ વ્યક્ત થયો નથી, છતાં સચિવાલયના કોરિડોરમાં કેડર બેલેન્સ અને પ્રમોશન નીતિ અંગે ચર્ચાઓ તેજ બની છે. વહીવટી તંત્રમાં બદલાતી પ્રાથમિકતાઓનો આ સંકેત ગણાય કે પછી એક અપવાદરૂપ નિર્ણય, તે સમય જ કહેશે. પરંતુ હાલ માટે ગાંધીનગરમાં આ મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં છે. યુવા નેતાઓને કામમાં નહીં હોદામાં જ રસગુજરાત ભાજપ યુવાઓને સ્થાન આપવાની વાત કરી રહ્યું છે. પરંતુ યુવા નેતાઓ માત્ર પોતાના હોદ્દાઓ લઈને ગાડીઓમાં હોદ્દાના પાટીયા લગાવી ફરે છે. ગુજરાતમાં જે રીતે યુવાનોને સાથે જોડીને કાર્યક્રમો કરવા જરૂરી હોય છે. ખાસ મોટા કાર્યક્રમોથી ભૂતપૂર્વ યુવા નેતાને પ્રદેશ સંગઠનમાં સ્થાન મળી ગયું છે અને આ યુવા નેતાએ પોતાની જ ટીમમાં રહેલા નેતાઓને ફરીથી સ્થાન અપાવી દીધા છે. પ્રદેશમાં રહેલા એક યુવા નેતાને ફરીથી ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે તો અલગ અલગ શહેરોમાં પણ તેમના જ ટીમના યુવા નેતાઓને મોટા સ્થાનો અપાવી દીધા છે. યુવા નેતા પોતાના કાર્યકાળમાં ટીમ મજબૂત કરી શક્યા નહીં અને મજબૂતીથી કોઈ કામ થયું નથી પરંતુ પોતાના ટીમના નેતાઓને ગોઠવી અને લોબિંગ ચલાવ્યું છે જેના કારણે અન્ય યુવા કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જોવા મળી છે. દબાણ હટાવ કામગીરીમાં પોલીસ-એસ્ટેટ વિભાગ વચ્ચે સંકલનનો અભાવઅમદાવાદમાં રોડ પરના લારી ગલ્લાના દબાણો હટાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસે સંયુક્ત રીતે ડ્રાઇવ કરવાની હોય છે. પરંતુ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા એક મોટા મોલ પાસે રોડ પર ગેરકાયદેસર ખાણીપીણી બજાર ભરાય છે. જે બજારને મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા બંધ કરાવી દેવામાં આવ્યું હતું. પરંતુ કેટલાક સ્થાનિક તત્વોના કારણે દાદાગીરી કરી અને ફરીથી હપ્તાખોરી કરી ખાણીપીણી બજાર શરૂ કરાવી દેવામાં આવ્યું છે. જ્યારે એસ્ટેટ વિભાગની ટીમ લારીઓ દૂર કરાવવા જાય ત્યારે આવા તત્વો આવી જાય છે અને એસ્ટેટ વિભાગ સાથે મારામારી કરે છે. સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઇ સુધી રજૂઆત કરવામાં આવી છે અને હવે તો તેને બંદોબસ્ત સાથે હટાવવું પડે તેવી સ્થિતિ થઈ ગઈ છે. ત્યારે એસ્ટેટ વિભાગના અધિકારીઓમાં પણ ભારે રોષ ફેલાયો છે કે કામગીરી કરવા જઈએ પણ પોલીસનો સપોર્ટ નથી.
અસત્ય પર સત્યની જીતનું પર્વ એટલે હોલિકા દહન. ગુજરાતભરમાં આજે મોડી સાંજે હોલિકા દહન યોજાશે. હોલિકા દહનની સાથે સાથે હોળીની ઝાળ પરથી આગામી વર્ષ કેવું રહેશે તેનો વરતારો પણ આગાહીકારો દ્વારા આપવામાં આવશે. હોળીના પર્વ મુજબ આગાહીકારો ભડલી વાક્ય મુજબ આગામી વર્ષનો વરતારો કરતા હોય છે. હોળી જ્યારે પ્રગટાવવામાં આવે ત્યારે આગાહીકારો તેની ઝાળ કઈ દિશામાં જાય છે તેનું અવલોકન કરતા હોય છે અને તેના પરથી વરતારો આપે છે. આગાગીકારો ભડલી વાક્ય મુજબ કરે છે હોળીનો વરતારો હોળી દિન કરો વિચાર, શુભ અને અશુભ ફળ સાર; પશ્ચિમનો વાયુ જો વાય, સમય એ જ સારો કહેવાય. વાયુ જો પુરવનો વાય, કોરો ને કઈ ભીની જાય; દક્ષિણ વાયુ ધનનો નાશ, એ સમય ન ઉપજે ઘાસ. ઉત્તરનો વાયુ બહુ હોય, પૃથ્વી પીઆર પાણી બહુ જોય; જો વંટોળ ચારે વાય, પૃથ્વી રણસંગ્રામ બતાય; ફાગણની પૂનમે દિન, હોળી સમયે પારખ કિન. હોળીની ઝાળ પરથી નક્કી થાય છે આગામી વર્ષ કેવું રહેશે?હોળીના દિવસે જ્યારે હોળી દહન કરવામાં આવે ત્યારે આગાહીકારો દ્વારા ભડલીવાક્ય મુજબ આગામી વર્ષમાં વરસાદ કેવું રહેશે તેનો વરતારો કાઢતા હોય છે. કઈ દિશામાં હોળીની ઝાળ જાય તો વર્ષ કેવું રહે તે ગ્રાફિક્સની મદદથી સમજીએ. વરસાદના વરતારાની પ્રાચીન પદ્ધતિઓપ્રાચીન ભારતમાં વર્ષાઋતુના વરસાદની આગાહી અંગે કેટલીક પદ્ધતિઓ પ્રચલિત હતી અને તે આજે પણ પ્રચલિત છે. જેમાં રોહિણીનો વાસ, વર્ષા સ્થંભ, વર્ષાઋતુ સમયે વાહન, ચોક્કસ તિથીઓમાં પવનની દિશા, સર્વતોભદ્ર ચક્ર, સપ્તશલાકા ચક્ર, સપ્તનાડી ચક્ર, ભડલીના વાક્યો, અખાત્રીજના પવનની દિશા, હોળીના જ્વાળાની દિશા, નાના નાના જીવ જંતુઓની હરકતો, વગેરે પરથી આગામી ચોમાસામાં વરસાદનો વરતારો કાઢવાની પરંપરા આપણે ત્યાં છે અને ખેડૂતોને આજે પણ તેમાં વિશ્વાસ છે.
રીક્ષા પલટી જતા સર્જાયો અકસ્માત:કોળીયાકથી પરત ફરતી રીક્ષા પલ્ટી, શખ્સનું કરૂણ મોત
ભાવનગર જિલ્લા માં ફરી એકવાર માર્ગ દુર્ઘટનાએ એક પરિવારને શોકમાં ગરકાવ કરી દીધો હતો. નિષ્કલંક મહાદેવ કોળિયાક ખાતે દર્શન કરીને પરત ફરતા ભક્તોની રીક્ષા ગુંદી ગામ પાસે પલ્ટી ખાઈ જતા એક યુવાનનું કરુણ અવસાન થયું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. ફરિયાદ મુજબ, ઘોઘા પોલીસ સ્ટેશનમાં ખાતે કમલેશ મિજાજીલાલ યાદવે નોંધાવેલી ફરિયાદ અનુસાર તા. 23/02/2026ના રોજ તેમના મોટાભાઈ ચંદ્રજીત મિજાજીલાલ યાદવ પોતાના મિત્ર અરવિંદભાઈ યાદવ અને તેજવીરસિંઘ યાદવ સાથે નિષ્કલંક મહાદેવ કોળીયાક ખાતે દર્શનાર્થે ગયા હતા. દર્શન પૂર્ણ કરીને તેઓ રીક્ષા નં. GJ 31 X 1767માં પરત ફરી રહ્યા હતા. રીક્ષામાં પાછળની બેઠક પર ચંદ્રજીતભાઈ અને અરવિંદભાઈ બેઠેલા હતા, જ્યારે તેજવીરસિંઘ રીક્ષા હંકારી રહ્યા હતા. પરત ફરતી વેળાએ ગુંદી ગામ નજીક અચાનક રીક્ષા અસમર્થ બની પલ્ટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં ચંદ્રજીતભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેઓ સ્થળ પર જ બેભાન થઈ ગયા હતા. તાત્કાલિક સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. પોલીસે અકસ્માત અંગે આગળની તપાસ હાથ ધરી હતી.
વાયર ચોરીનો મામલો આવ્યો સામે:વરતેજમાં ઇલેકટ્રીક મોટરના 140 મીટર વાયની ચોરી
ભાવનગર તાલુકાના વરતેજ ગામે ખેતીવાડી વિસ્તારમાં બોરિંગ મોટરના વાયરો કાપી ચોરી કરવાની ઘટનાઓએ ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જ્યો હતો, જ્યાં છ અલગ અલગ વાડીઓમાંથી કુલ 140 મીટર જેટલો કેબલ ચોરી જતાં અંદાજે 14 હજાર રૂપિયાનું નુકસાન થયું હતું અને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા તપાસની ચક્રો ગતિમાન બન્યાં હતા. ભાવનગરના વરતેજ ગામે દરબારગઢ દાદાની ડેલી ખાતે રહેતા બળભદ્રસિંહ મહેન્દ્રસિંહ ગોહિલે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ નિત્યક્રમ મુજબ પોતાની વાડી પર ગયા હતા અને બોરિંગ મોટર શરૂ કરવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ મોટર ચાલુ ન થતા શંકા ઉપજી હતી. નજીકથી તપાસ કરતા મોટરનો અંદાજે 15 મીટર જેટલો કેબલ કપાયેલો જોવા મળ્યો હતો, જેનાથી સ્પષ્ટ થયું હતું કે અજાણ્યા તત્વોએ ઈરાદાપૂર્વક વાયર કાપી ચોરી કરી હતી. આ બનાવને પગલે આસપાસની વાડીઓમાં પૂછપરછ કરતા વધુ ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. દિગ્વિજયસિંહ ગોહિલની વાડીમાંથી આશરે 30 મીટર, ઋષિરાજસિંહ ગોહિલની વાડીમાંથી 25 મીટર, દિલીપભાઈ મોરીની વાડીમાંથી 10 મીટર, પોપટભાઈ મોરીની વાડીમાંથી 20 મીટર અને પુષ્પરાજસિંહ ગોહિલની વાડીમાંથી 40 મીટર જેટલો બોરિંગ મોટરનો વાયર ગાયબ હોવાનું બહાર આવ્યું હતું. આ રીતે કુલ છ વ્યક્તિઓની વાડીઓમાંથી મળીને આશરે 140 મીટર જેટલો કેબલ ચોરાઈ ગયો હતો. કુલ 14 હજાર રૂપિયાની માલમત્તાનું નુકસાન નોંધાતાં બળભદ્રસિંહ મહેન્દ્રસિંહ ગોહિલે પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.
દારૂની હેરાફેરી ઝડપાઈ:ભાવનગરમાં SMC એ દૂધના ટેન્કરમાં રૂપિયા 78 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
મહુવા તાલુકાના ભાદ્રોડ ગામ નજીક હાઇવે પર એસએમસીની ચુસ્ત નજર હેઠળ હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન દૂધના ટેન્કરમાં ગુપ્ત ખાના બનાવી તેમાં 16,414 બોટલ વિદેશી દારૂનો જથ્થો છુપાવી પરિવહન કરવામાં આવતો હોવાનો ભંડાફોડ થયો હતો, જેમાં આશરે 78 લાખ રૂપિયાનો મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી લઈ સમગ્ર જાળાને ઉઘાડું પાડવા પોલીસ તંત્રે સઘન તપાસ આરંભી હતી. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભાદ્રોડ ગામ પાસે હાઇવે ઉપર એસએમસી ટીમે બાતમીના આધારે દોરડા પાડી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પસાર થતા દૂધના ટેન્કરને અટકાવી તેની સઘન તપાસ કરતા ટેન્કરના અંદરના ભાગમાં અલગ અલગ ગુપ્ત ખાના બનાવવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ ખાનાઓમાંથી વિદેશી બનાવટની દારૂની કુલ 16,414 બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂ તથા વાહન સહિત કુલ અંદાજિત કિંમત રૂ. 78 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ટેન્કર ચાલક હનુમાનરામ રામમાંગીલાલ બિશ્નોઇ, રહે. બેરી, રાજસ્થાનને ઝડપી પાડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં તેણે દારૂનો જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે સ્પષ્ટ માહિતી આપતા જણાવ્યું હતું કે કોઈ અજાણ્યો વ્યક્તિ ફોન દ્વારા સંપર્ક કરી આગળની સૂચના આપવાનો હતો. આટલી વિશાળ માત્રામાં દૂધના ટેન્કરની આડમાં દારૂની હેરફેર કરવાનો પ્રયત્ન થતાં પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. દારૂનો મૂળ માલિક કોણ છે, જથ્થો કયા સ્થળે પહોંચાડવાનો હતો અને આ ગેરકાયદે નેટવર્કમાં અન્ય કોણ-કોણ સંકળાયેલા છે તે દિશામાં એસએમસીએ વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
ધર્મોત્સવ:પચ્છેગામમાં 551 કુંડી વિષ્ણુયજ્ઞની પૂર્ણાહુતિ
ભાવનગર.વલભીપુર તાલુકાના પચ્છેગામમાં તા.22 ફેબ્રુઆરીથી શરૂ થયેલ ભગવાન મુરલીધરજી મહારાજ નિજ મંદિર પ્રવેશોત્સવ નિમિત્તે યોજાયેલ રમેશભાઇ ઓઝા(ભાઇશ્રી)ના વ્યાસને શ્રીમદ્દ ભાગવત કથાનું ગઇ તા.28 ફેબ્રુઆરીનાં સમાપન થયુ હતુ જયારે તા.1 માર્ચનાં ભગવાન મુરલીધરજીની નગર યાત્રા બાદ નિજ મંદિરમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સાંજના 5 કલાકે 551 કુંડી વિષ્ણુ યજ્ઞની પૂર્ણાહુતી થયા બાદ પચ્છેગામમાં છેલ્લા 8 દિવસથી ચાલી રહેલા ધાર્મિક મહોત્સવના છેલ્લાં દિવસે રાજયના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ ભગવાનનાં તેમજ 551 કુંડી યજ્ઞનાં દર્શન કર્યા હતાં અને તેમણે પચ્છેગામના યુવા શકિત ગૃપની પ્રવેશોત્સવ પ્રસંગે કરેલ આયોજન અને વ્યવસ્થાની પ્રશંસા કરી હતી. ટેકનોલોજીની સાથે આધ્યાત્મિક મૂલ્યોનું સંવર્ધન જરૂરી : રાજ્ય શિક્ષણમંત્રી શ્રીમતી રીવાબા જાડેજાશિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાએ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે આયોજિત મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં સહભાગી થયાં હતાં.આ પાવન અવસરે મંત્રીશ્રીએ મુરલીધર મહારાજના નવનિર્મિત મંદિરમાં દર્શન કર્યા હતા તેમજ મુરલીધર મહારાજની નગરચર્યામાં સહભાગી થઈને અલૌકિક દર્શનનો લાભ લીધો હતો.551 કુંડી શ્રી મહાવિષ્ણુ યજ્ઞ પૂર્ણાહુતિ મહોત્સવમાં દર્શન કર્યા હતા. યજ્ઞના પ્રેરક પૂ.લાલબાપુ પ્રખર ગાયત્રી ઉપાસકવલભીપુર તાલુકાના પચ્છેગામ મુકામે આયોજીત 551 કુંડી મહાવિષ્ણુ યજ્ઞના પ્રેરક તેવા પૂ.લાલબાપુના જીવન ચરીત્ર અંગે લગભગ સૌકોઇ અજાણ હતાં પરંતુ પચ્છેગામ ખાતે મુરલીધરજી નિજ મંદિર પ્રવેશોત્સવ સાથે યજ્ઞના પ્રેરક તેવા પૂ.લાલબાપુ ખાસ્સી રીતે પ્રચલીત બન્યા છે.લાલબાપુએ તેમના 68-69 વર્ષના જીવનમાંથી 52 વર્ષ તપસ્યા અને અંતર્મુખી સાધનામાં વિતાવ્યા છે.
બદલાતા ઋતુચક્ર અને અણધાર્યા હવામાનને કારણે જ્યારે ખેતી પદ્ધતિઓ નિષ્ફળ જઈ રહી છે, ત્યારે નવસારી જિલ્લાના હાંસાપોર ગામના પ્રગતિશીલ ખેડૂત પરિમલ દેસાઈએ ટેક્નોલોજીના સહારે ખેતીને જુગાર મટી વિજ્ઞાન બનાવી દીધી છે. તેમણે આધુનિક સેન્સર આધારિત વેધર સેન્ટર સ્થાપીને ખેતીમાં સચોટ આયોજનની નવી દિશા બતાવી છે. પરિમલભાઇએ બી.એસસીનો અભ્યાસ કર્યો છે અને કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી નિવૃત્ત થયા હતા. જે બાદ તેમણે ખેતીમાં ઝંપલાવ્યું. પરિમલભાઇના શબ્દોમાં તેમની વાત જાણીએ... અમે વર્ષોથી આંબા, ચીકુ, શેરડી અને ડાંગરની ખેતી કરતા આવ્યા છીએ. છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ગરમી અને રાત્રે તાપમાનમાં અચાનક ઘટાડાને કારણે પાકની જાળવણીમાં મુશ્કેલી પડતી હતી. ખેડૂત હોવાને કારણે વિવિધ જગ્યાએ યોજાતા કૃષિ મેળામાં મારુ જવાનું થતું હતું. જેમાં બારામતીના કૃષિ મેળામાં બેંગલુરુ સ્થિત કંપનીએ પોતાના સ્ટોલમાં વાતાવરણ માપવાના સેન્સરની સિસ્ટમ મૂકી હતી કંપનીનો સંપર્ક કરી વિગત મેળવી અને મારા ખેતરમાં તે ફીટ કરાવી. આ સેન્સર જમીનનો ભેજ, તાપમાન અને વરસાદની શક્યતાઓની પળેપળની વિગત આપે છે. આ ટેક્નોલોજીના આધારે ખેતરમાં શેરડીની ખેતીમાં ડ્રિપ પદ્ધતિ અપનાવી છે. અગાઉ જ્યાં ખેતર પાણીથી ભરાઈ રહેતું હતું, ત્યાં હવે ઓછા પાણીમાં પણ શેરડીનું આરોગ્ય સારું રહે છે. આંબા અને ચીકુની ખેતીમાં ફૂગજન્ય રોગો અને ફળમાખીના ઉપદ્રવ સામે સમયસર પગલાં લઈ શકાય છે. ખેતરમાં કેટલુ પાણી આપવું, ક્યારે આપવું, નીચેની જમીન સૂકી છે કે ભીની છે આ દરેક વસ્તુની જાણ થાય છે. ગત વર્ષે મે મહિનામાં મારા ખેતરમાં વેધર સ્ટેશન લગાવ્યું હતું. જેમાં અલગ-અલગ 6 જેટલા સેન્સર લાગતા હવાની ગતિ, હવા કયા દિશામાં છે, વરસાદ કેટલા પ્રમાણમાં થયો તે દરેક વસ્તુ મોબાઇલમાં દર્શાવે છે. ખાસ કરીને ગત વર્ષે ચોમાસા પછી શેરડી અને આંબાના પાકમાં સારી આવક થઇ છે. હું દરેક પાક માટે સોઇલ ટેસ્ટ કરાવ્યા બાદ તેનો ડેટા એપ્લિકેશનમાં નાખું છું અને તેના ડેટા પ્રમાણે એપ્લિકેશનમાં જરૂરી સૂચનો આવી જાય છે. મોબાઈલ પર ગુજરાતીમાં મળે છે તમામ એલર્ટઆ ટેક્નોલોજીની વિશેષતા એ છે કે તે દોઢ કિલોમીટરના વિસ્તારને કવર કરે છે. જમીનમાં ક્યારે પાણીની જરૂર છે કે વાતાવરણમાં ભેજ ઘટવાને કારણે કયો રોગ આવી શકે તેમ છે, તેની આગોતરી જાણકારી મોબાઈલ પર ગુજરાતી ભાષામાં મળી જાય છે. આ સચોટ માહિતીને કારણે રોગચાળો ફેલાય તે પહેલાં જ સાવચેતીના પગલાં ભરી શકાય છે. વેધર સ્ટેશનના ઉપયોગથી થયેલા ફાયદાઅગાઉ અંદાજિત સિંચાઈ કરતા હતા, પણ હવે માત્ર જરૂર હોય ત્યારે જ પાણી અપાય છે. આ વર્ષે ચોમાસા બાદ માત્ર ચાર જ વાર પાણી પાવા છતાં પાકની તંદુરસ્તી ઉત્તમ રહી છે. ખાતર, દવા અને વીજળીના ખર્ચમાં 20 થી 30 ટકાનો ઘટાડો થયો છે. સમયસર માવજતથી ફળોની ગુણવત્તા સુધરી છે જેનાથી બજારમાં ઊંચા ભાવ મળ્યા છે. આ પ્રગતિશીલ ખેડૂત પાસેથી જાણો વધુ વિગતો. સંપર્ક 97243 08044.(નીલ નાયક સાથે વાતચીતના આધારે)
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
આધુનિકતાના આ યુગમાં પણ શ્રદ્ધા અને સંકલ્પની શક્તિ કેટલી અતૂટ હોઇ શકે તેનું જીવંત ઉદાહરણ અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલા સદીઓ જૂના નિલકંઠ મહાદેવ મંદિરમાં જોવા મળે છે. અહીંની પરંપરા એટલી કઠોર છે કે જે સાંભળીને ભલભલા આશ્ચર્યચકિત થઇ જાય. આ મંદિરના મહંત એકવાર ગાદી પર બિરાજમાન થયા પછી મંદિરના પ્રાંગણની બહાર આજીવન પગ મૂકતા નથી. ભલે ગંભીર બીમારી હોય કે મોટી દુર્ઘટના હોય મહંત ક્યારેય આ નિયમ તોડતા નથી. જો ઓપરેશનની જરૂર પડે તો આખું ઓપરેશન થિયેટર મંદિરના પરિસરમાં ઊભું કરવામાં આવે છે પણ મહંત બહાર નથી જતા. જો કોઇ વિવાદ થાય અને સમગ્ર મામલો કોર્ટમાં પહોંચે તો પણ કોર્ટના બેલિફ મંદિરમાં આવીને મહંતની જુબાની લઇ જાય છે. 650 વર્ષ જૂની ચેતન ધૂણી અને હીરાપુરી મહારાજના અટલ સંકલ્પ સાથે જોડાયેલી આ ગાથા માત્ર પરંપરા નથી પણ એક અતૂટ આધ્યાત્મિક શિસ્તનું ઉદાહરણ છે. દિવ્ય ભાસ્કરે મંદિરના 11મા ગાદીપતિ ઓમાનંદગીરી મહારાજ પાસેથી આ અંગે તમામ માહિતી મેળવી હતી. મંદિરમાં કોઠારી, કારોબારી, સંત-મહાત્મા, ભક્તો છે પણ ગાદીપતિ સિવાય બધાને બહાર જવાની છૂટ છે. ગાદીપતિ અહીં બેસીને જ વહીવટ કરે છે. આ મંદિરની જૂનાગઢમાં, વાડજમાં કાશ્મીરા મહાદેવ, દરિયાપુરમાં ગોપનાથ મહાદેવ, હરિપુરામાં જલાલપુર હનુમાન, જમાલપુરમાં હનુમાન મંદિર એમ ઘણી જગ્યાઓ છે. ચોકમાં આગ લાગી તો પણ મહંત મંદિરમાં જ રહ્યાંએક વખત મંદિરના પરિસર બહાર ચોકમાં આગ લાગી હતી. અસારવાના અગ્રણીઓએ હિમાલયા દર્શન બનાવ્યું હતું. જેમાં સાંજે 5:45 વાગ્યે ઇલેકટ્રીક શોટસર્કિટના કારણે આગ લાગી હતી. આ સમયે જે ગાદીપતિ હતા તે બહાર નહોતા ગયા. પરિસરમાં જ રહ્યાં હતા. 12 વર્ષ પહેલાં ઓમાનંદગીરી મંદિરના ગાદીપતિ બન્યાં હતા. તેમણે 26 વર્ષ સુધી મંદિરમાં કામ કર્યું છે. તેઓ કહે છે કે, મારી પહેલાંના મહારાજ 40 વર્ષ ગાદી પર રહ્યાં હતા. આગ લાગી ત્યારે પણ તેઓ બહાર ગયા નહોતા. આ તપોભૂમિ છે, તપના કારણે અમે બચ્યાં છીએ. મંહત ઓમાનંદગીરીએ મંદિરની સ્થાપના કેવી રીતે થઇ તેની માંડીને વાત કરી. તેઓ જણાવે છે કે, હરિદ્વારમાં નિરંજની અખાડાના સંત સ્વામી હીરાપુરીએ 650 વર્ષ પહેલાં આ જગ્યાની સ્થાપના કરી હતી. નિરંજની અખાડામાં તેમને મતભેદ થતાં તેઓ ત્યાંથી નીકળીને આ વિસ્તારમાં ફરતાં ફરતાં આવ્યા હતા. ચાલુ વરસાદે ધૂણી ધખતી હતી'હીરાપુરી સ્વામી પ્રથમ દેવ દરબારમાં રોકાયા હતા ત્યાંથી ફરતાં ફરતાં લુણાવાડા આવ્યા હતા. લુણાવા઼ડામાં તે વખતે મહંત મનોહરનાથ હતા. હીરાપુરી સ્વામી તેમના શિષ્ય બનીને સેવામાં લાગી ગયા હતા. મનોહરનાથ એટલા સિદ્ધ પુરુષ હતા કે જોરદાર વરસાદમાં પણ તેમની ધૂણી ધખતી હતી.' ગુરૂએ હીરાપુરી સ્વામીને સેવા કરવાનો આદેશ આપ્યોમહંતે આગળ કહ્યું કે, લુણાવાડાના મહારાજે પણ વરસાદમાં તેમની ધખતી ધૂણીને જોઇ હતી. બીજા દિવસે રાજાએ ખુદ ત્યાં જઇને મહંતના દર્શન કર્યા હતા અને તેમને આખો પહાડ આપી દીધો હતો. મનોહરનાથને વસંતગીરીના નામના એક શિષ્ય પણ હતા. જ્યારે મનોહરનાથનો અંતિમ સમય આવ્યો ત્યારે તેમણે શિષ્ય વસંતગીરીને કહ્યું કે તમે ચારધામની યાત્રા કરી આવો અને હીરાપુરીને કહ્યું તમે મારી સેવામાં રહેજો. સ્વામીના કહ્યાં પ્રમાણે બન્ને શિષ્યોએ કર્યું. હીરાપુરી મહારાજ કેવી રીતે અમદાવાદ આવ્યાં?'મનોહરનાથે એક દિવસ હીરાપુરીનાથને કહ્યું કે હવે હું દેહ છોડી દઇશ. મારી સમાધિ લગાવી દેજો અને જ્યારે વસંતગીરી આવે ત્યારે તેમને આ જગ્યા સોંપી દેજો અને તમે અમદાવાદ તરફ જજો, જ્યાં તમને ચેતન ધૂણી મળે ત્યાં બેસીને જપ-તપ કરજો. વસંતગીરી ચારધામની યાત્રાએથી આવ્યા એટલે ગુરૂના કહેવા પ્રમાણે હીરાપુરીએ તેમને જગ્યા સોંપી દીધી અને પોતે અમદાવાદ આવ્યા. આજે પણ અમારા મંદિરમાં ચેતન ધૂણી છે અને અમે તેની સેવા-પૂજા કરીએ છીએ.' 400 સાધુઓના ભોજનનો કિસ્સોમહંત ઓમાનંદગીરીના કહેવા પ્રમાણે, હીરાપુરી સ્વામી જ્યારે અહીંયા રહીને જપ-તપ કરી રહ્યાં હતા ત્યારે તેમની પાસે એક અકલ અખાડાની જમાત આવી. જમાતમાં 400 સાધુ હતા. તેઓ સવારે 10 વાગ્યે આવ્યા હતા. અમારા સાધુઓમાં 11, 11:30 વાગ્યે હરિહર (ભોજન) થાય છે. 400 સાધુઓનું ભોજન તો કોઇએ બનાવી ના રાખ્યું હોય. કોઠારી સ્વામીએ જ્યારે હીરાપુરી સ્વામીને 400 સાધુઓના હરિહર વિશે કહ્યું ત્યારે હીરાપુરીએ કહ્યું કે તમે તેમને અનાજ આપી દો, તેઓ બનાવી લેશે પણ અખાડાના સાધુઓએ ના પાડીને કહ્યું કે તમે જે બનાવ્યું હશે અમે તે જ ખાઇશું. મહંત ઓમાનંદગીરી કહે છે કે, આ સમયે હીરાપુરી સ્વામી ચાદર ઓઢીને બેઠાં હતા. તે ચાદર ઉતારીને કોઠારી સ્વામીને આપીને કહ્યું કે જે ભોજન બનાવ્યું છે તેને સાથે રાખીને તેના પર ચાદર ઓઢાડીને હરિહર ચાલુ કરી દો. જેના પછી તમામ સાધુઓએ હરિહર કર્યું. કોઠારી સ્વામી હીરાપુરી પાસે આવ્યા અને કહ્યું કે, સ્વામી બધાંએ ભોજન કરી લીધું છે એટલે હીરાપુરીએ કહ્યું કે, ભાઇ મારી ચાદર લાવો. આ સમયે જેટલું ભોજન બનાવ્યું હતું તેટલું પડી રહ્યું હતું. કૂવામાંથી ઘી કાઢ્યું!વાતને આગળ વધારતા ઓમાનંદગીરીએ બોલ્યા, સાંજે જમાતવાળા સાધુએ માલપૂવાં ખાવાની ઇચ્છા વ્યક્ત કરી એટલે ભઠ્ઠી સળગાવીને માલપૂવાં બનાવવાનું ચાલુ થઇ ગયું. લાકડીમાંથી ઘી પડતું હતું અને તે ઘીથી માલપૂવાં બની રહ્યાં હતા. રાત પડી ત્યારે ઘી ખૂટી ગયું. કોઠારી સ્વામીએ હીરાપુરી સ્વામીને વાત કરી તો તેમણે કહ્યું કે સામે ગંગાજલી (કૂવો) છે તેમાંથી જોઇએ તેટલું કાઢી લો, આપણે સવારે પાછું નાખી દઇશું. જ્યારે હીરાપુરી સ્વામીએ મરેલાં કૂતરાં પર હાથ ફેરવ્યો'આમ માલપૂવાં બનાવ્યા બાદ સાધુઓની પગંત બેસી હતી. પહેલાંના સમયમાં સંત-મહાત્મા એકબીજાની કસોટી કરતાં હતા. એક મહાત્માએ કૂતરાંને મારીને વચ્ચે નાંખી દીધો અને હીરાપુરી સ્વામી પાસે આવીને કહ્યું કે પંગતમાં કૂતરું મરેલું પડ્યું છે, અમે પંગતમાં ભોજન નહીં કરીએ, જગ્યા અશુદ્ધ થઇ ગઇ છે. હીરાપુરી સ્વામી ઉઠીને ત્યાં ગયા અને કૂતરાં પર હાથ ફેરવ્યો અને કહ્યું કે ભેરૂ અંદર જતો રહે અને કૂતરો ઉઠીને જતો રહ્યો અને પંગત શાંતિથી પૂર્ણ થઇ. આજે પણ મારી પાસે ભેરૂ બાબાની મૂર્તિ છે.' આકરી કસોટી બાદ હીરાપુરી સ્વામીએ 2 સંકલ્પ લીધા હતા. ઓમાનંદગીરીએ ઉમેર્યું કે, હીરાપુરી સ્વામીએ મહાત્માને કહ્યું કે તમે બહુ કસોટી કરી છે. તમારા કારણે દેવતાઓએ કષ્ટ વેઠવું પડ્યું છે. હવે વધારે કસોટી ન કરો તો સારૂં છે. આના પછી હીરાપુરી સ્વામીએ મંદિર પરિસર બહાર નહીં જવાનો અને કોઇની પાસે ભીખ નહીં માંગવાનો સંકલ્પ કર્યો હતો. અમે આજે પણ હીરાપુરી મહારાજના સંકલ્પને માનીએ છીએ. રાજાએ 400 સાધુઓની હત્યા કરીમહંતે વધુમાં કહ્યું કે, બીજા દિવસે સવારે એ સાધુઓની જમાત જવા લાગી ત્યારે હીરાપુરી સ્વામીએ તેમને પૂછ્યું કે ક્યાં જશો? તો મહાત્માએ કહ્યું કે ધોળકા-ધંધુકા-વીરમગામ વિસ્તારમાં જઇશું. હીરાપુરી સ્વામીએ તેમને જવાની ના પાડી તેમ છતાં સાધુઓની જમાત ગઇ અને તે સમયના રાજા મહંમદ બેગડાના સિપાહીઓ સાથે કંઇ ખટપટ થઇ અને તેમણે 400 સાધુઓને મારી નાખ્યા હતા. આજે પણ વીરમગામમાં આવેલા એક મોટા તળવાની ચારેબાજુ 400 સમાધિઓ છે. ઓમાનંદગીરી કહે છે કે, પહેલાંના સમયમાં જ્યારે કોઇ કાયદાકીય મેટર આવતી તો કોર્ટ નિવેદન લેવા માટે ખુદ મહારાજ પાસે આવતી હતી. હું જ્યારથી અહીંયા છું ત્યારથી મારી સામે આવું કંઇ થયું નથી કે કોર્ટની મેટર અહીંયા આવી નથી. મહંતને કોઇ તકલીફ પડે તો ડૉક્ટર જેટલો ઇલાજ થાય તેટલો કરશે. ના થાય તો દૈવી શક્તિ પર છોડી દેવું પડે. તેમણે પોતાની આંખના ઓપરેશનનું ઉદાહરણ પણ આપ્યું.તેઓ કહે છે કે, મને પોતાને જ 6 વર્ષ પહેલાં આંખની તકલીફ થઇ હતી ત્યારે મશીન મળતું નહોતું. 4-5 મહિના થઇ ગયા હતા. જ્યાં સુધી મશીન ન મળ્યું ત્યાં સુધી અમારે ચલાવવું પડ્યું. 4-5 મહિના પછી કોઇ ડૉક્ટરે અમદાવાદમાં દોઢ કરોડની કિંમતનું આંખનું મશીન મગાવ્યું હતું. જેને અહીં મંદિર પરિસરમાં લાવ્યા અને મારૂં ઓપરેશન કર્યું હતું. '7 દિવસ પછી બીજી આંખનું ઓપરેશન થઇ ગયું. નવમા દિવસે મશીનને જે રીતે પેકિંગ હતું તેમ કરીને જે ડૉક્ટરે ઓર્ડર આપ્યો હતો ત્યાં જઇને ફિટ કરી આવ્યા હતા.' અહીં મહંત બનાવવાના નિયમો વિશે પણ તેમણે વાત કરી.ઓમાનંદગીરી જણાવે છે કે, જેને મહંત બનવું હોય તે અહીંયાના વહીવટથી વાકેફ હોવો જોઇએ. તે કોઇ કારણસર ના બને તો મારા સાધક મહંત બની શકે છે. અમારા નિરંજની અખાડાના નાગા બાવા મારે ત્યાં આવીને સાધક બની શકે છે. મને જે યોગ્ય લાગે તેને હું સાધક બનાવું છે. આ સાધકમાંથી જ મારા મૃત્યુ પછી જે યોગ્ય હશે તેની મહંત તરીકે નિયુક્તિ કરવામાં આવશે. 'મારા જે 5 કે 6 સાધકો હોય તેમાંથી જ એકની પસંદગી કરવામાં આવે છે પછી અમે ચેરિટિ કમિશનરમાં અરજી કરીશું. 16મા દિવસે, સવા મહિને કે પછી ત્રણ મહિનામાં ગાદી પર મહંત બનાવવા અનિવાર્ય છે.' અહીં જે મહંત બને તેની ચાદરવિધિ લુણાવાડાના મહંતના હસ્તે થાય છે. આની પાછળ પણ એક પરંપરા છે. ઓમાનંદગીરી કહે છે કે, અહીં જે મહારાજ બને તેને પહેલી ચાદર લુણાવાડાના મહંત ઓઢાડશે. લુણાવાડાના મહંત પોતાના જીવનમાં અહીં ત્યારે જ આવી શકે જ્યારે તેમને અહીંના મહંતને ચાદર ઓઢાડવાની હોય, વચ્ચે તેઓ ક્યારેય પણ અહીંયા ના આવી શકે. ચાદર વિધિ કરીને તેઓ અહીંયા બેસી ન શકે, એક ક્ષણ પણ રોકાશે નહીં. 'વિધિ કરીને તેઓ સીધાં જ નીકળીને અસારવાના ઉમિયા માતાના મંદિરે જઇને રોકાશે. ત્યાં બપોરનું ભોજન, ભેટ વિધિ થાય. ઉમિયા માતાના મંદિરે અમારી ગુરુ ગાદી છે. આ સિદ્ધ ગાદી છે. સિદ્ધ ગાદી પર હું બેઠો હોઉં અને તેઓ મારી સાથે બેસે તે શોભે નહીં એટલે તેઓને અહીંયા બેસવાનો નિયમ નથી.' કેસ લડવા મહંતના મુખત્યાર જાયમંહત ઓમાનંદગીરીએ વર્ષ 2020માં ધોળકાના ગણપતપુરા ગામ નજીક કેસરગઢમાં જગ્યા લઇને ગૌ શાળા બનાવી હતી. ત્યારે તેમણે મુખત્યારની નિમણૂંક કરી હતી. અત્યારે તેમની પાસે 5 મુખત્યાર છે. મહંત કહે છે કે, મારા વતી કોર્ટમાં કેસ લડવા કે કોઇ સરકારી કામ માટે મુખત્યાર જાય છે તેમ છતાં કોર્ટને મારું કોઇ સ્ટેટમેન્ટ લેવું છે તો તેઓએ અહીંયા આવવું પડે. અમારા મંદિરની જગ્યા છેક અસારવા તળાવથી સિવિલ હોસ્પિટલ સુધીની છે. તેમાં કેટલાક માસિક ભાડુઆત છે તો અમૂક ભાડ્ડાપટ્ટેદાર છે. હોળીની અનોખી પરંપરાઆ તો અસારવામાં આવેલા નિલકંઠ મહાદેવ મંદિરની વાત હતી પણ અસારવામાં જ એક અનોખી પરંપરા વર્ષોથી ચાલી આવે છે. અહીં આજે પણ હોળીકાનું પૂજન કર્યા બાદ વાલ્મિકી સમાજના વ્યક્તિ ગામના મુખીને તિલક કરે છે ત્યારબાદ હોળી પ્રગટાવવામાં આવે છે. અસારવા ગામના મુખી હર્ષિલ પટેલે હોળી અંગે જણાવ્યું હતું કે, આ ગામમાં હોળીનું પૂજન ગામના મુખીના વંશજ દ્રારા કરવામાં આવે છે. મારા પરિવારમાં મારા પરદાદા મોતીલાલ રણછોડદાસ મુખી ગામના મુખી હતા. હું તેમના પરિવારમાં ચોથી પેઢીમાં છું. તેમણે કહ્યું કે, હું છેલ્લાં 3 વર્ષથી અસારવા ગામમાં હોળીનું પૂજન કરું છું. હોળી પૂજન કર્યા બાદ વાલ્મિકી સમાજમાંથી તિલક કર્યા બાદ હોળી પ્રગટાવવામાં આવે છે.
ગુજરાતના મોટા શહેરોમાં નકલી અને બીમાર પાડે એવું પનીર કઈ હદે વેચાય છે? આ સવાલનો જવાબ સ્તબ્ધ કરી દે એવો છે. જે પનીરને લોકો મોજથી ખાઈ રહ્યા છે એ પનીર બનાવવા પાછળ મોટી પોલમપોલ ચાલી રહી છે. લોકો વર્ષોથી અમુક ડેરીઓ પર ભરોસો કરે છે, પેઢીઓથી ગ્રાહકો ત્યાં જાય છે, આવી જગ્યાએ બીમાર પાડવાના સામાન તરીકે પનીરનું કોઈપણ ડર રાખ્યા વગર વેચાણ થઈ રહ્યું છે. દિવ્ય ભાસ્કરના આજના ઇન્વેસ્ટિગેશન રિપોર્ટમાં વાંચો, અમદાવાદમાં વર્ષોથી ચાલતી મોટી ડેરીઓના કાળા કારનામા વિશે. અમે અલગ-અલગ વિસ્તારની 7 મોટી ડેરીઓમાંથી પનીર ખરીદ્યું, ત્યાંથી બિલ લીધા. પછી ગણતરીના સમયગાળામાં અમે લાલ બંગલાની પાછળ આવેલી અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં જમા કરાવી દીધા. થોડા દિવસ પછી આ સેમ્પલના રિપોર્ટ મળ્યા, જે ઘણા ચોંકાવનારા આવ્યા. હલકી કક્ષાના દૂધથી માંડીને કલર નાખવા સુધી એવી વસ્તુઓની તેમાં ભેળસેળ હતી, જે કોઈને પણ હોસ્પિટલના બેડ સુધી પહોંચાડી શકે છે. વાંચો… ફેલ થયેલા પનીરના સેમ્પલના રિપોર્ટમાં શું-શું હતું? અમે 3 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી ગોકુલ ડેરી પર પહોંચ્યા. ત્યાં એક કિલોના 500 રૂપિયાના ભાવે પનીર વેચવામાં આવી રહ્યું હતું. અમે 250 ગ્રામ પનીર માગ્યું. દુકાનદારે તરત જ પનીર પેક કરી આપ્યું. અમે તેમની પાસેથી ખરીદીનુું બિલ પણ લીધું. પનીરમાં કોઈપણ પ્રકારનો બહારનો રંગ ઉમેરવાની મનાઈ છે. આ આરોગ્ય માટે હાનિકારક હોઈ શકે છે. પરંતુ 10મી ફેબ્રુઆરીએ આવેલા ગોકુલ ડેરીના રિપોર્ટમાં કૃત્રિમ રંગની હાજરી જોવા મળી. એટલે કે પનીરને આકર્ષક બનાવવા માટે તેમાં રંગની મિલાવટ કરવામાં આવી હશે. નિયમ મુજબ પનીરમાં બી.આર.રિડિંગ 40થી 44 વચ્ચે હોવું જોઈએ, પરંતુ સેમ્પલમાં તે 47.6 હતું. જેનો અર્થ થાય છે કે દૂધમાં કુદરતી ફેટની જગ્યાએ બહારનું કોઈ તેલ કે ફેટ ઉમેરવામાં આવ્યું હશે. આર.એમ.વેલ્યૂ શુદ્ધ દૂધમાં ફેટ જાણવા માટે થાય છે. તે ઓછામાં ઓછું 24 હોવું જોઈએ. પરંતુ ગોકુલ ડેરીના પનીરમાં માત્ર 2.74 જ હોવાનો રિપોર્ટ આવ્યો છે. આ બહુ તફાવત સાબિત કરે છે કે પનીર બનાવવા માટે વપરાયેલા દૂધમાં ફેટનું પ્રમાણ ખૂબ જ ઓછું અને વનસ્પતિ ઘી કે તેલ જેવી વસ્તુઓની મોટી ભેળસેળ હોઈ શકે છે. કૃત્રિમ રંગ અને સસ્તા તેલ કે ફેટની ભેળસેળને કારણે આવું પનીર ખાવા યોગ્ય નથી. તે FSSAIના ધારાધોરણો પર ખરું ઉતરતું નથી. જૂના વાડજ વિસ્તારમાં આવેલી મહાલક્ષ્મી ડેરીમાં પનીરનો ભાવ 480 રૂપિયા હતો. અમે ત્યાંથી 150 રૂપિયામાં 312 ગ્રામ પનીરની ખરીદી કરી. મહાલક્ષ્મી ડેરીમાંથી ખરીદેલા પનીરમાં પણ વેજીટેબલ ફેટ હોવાનો પર્દાફાશ થયો. રિપોર્ટ મુજબ, આ પનીર શુદ્ધ દૂધનું બનેલું નથી. નિયમ મુજબ બી.આર.રીડિંગ 40થી 44 સુધી હોવું જોઈએ. પરંતુ મહાલક્ષ્મી ડેરીના પનીરમાં આ રીડિંગ 45 એટલે કે નક્કી કરેલી મર્યાદા કરતા વધુ હતું. તેનો અર્થ એ થાય કે દૂધના કુદરતી ફેટની જગ્યાએ વનસ્પતિ તેલ કે પામ ઓઈલની ભેળસેળ કરવામાં આવી હોઈ શકે છે. આવી જ રીતે, આર.એમ.વેલ્યુ ઓછામાં ઓછી 24 હોવી જોઈએ. પરંતુ મહાલક્ષ્મી ડેરીમાંથી ખરીદવામાં આવેલા પનીરમાં માત્ર 3.5 જ હતું. આનો સ્પષ્ટ મતલબ એ છે કે આ પનીર બનાવવા વપરાયેલા દૂધમાં ફેટ અત્યંત ઓછું હતું. એટલું જ નહીં, આ પનીર નકલી ફેટ અથવા ભેળસેળિયા દૂધમાંથી બનાવેલું હોવાની પૂરેપૂરી શક્યતા છે. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં અંકુર ચાર રસ્તા નજીક શ્રી કૈલાસ દુગ્ધાલય છે. આ જગ્યાએ 400 રૂપિયા કિલોના ભાવે પનીર વેચવામાં આવી રહ્યું હતું. અમે ત્યાંથી 300 ગ્રામ પનીરની ખરીદી કરી અને રિપોર્ટ કઢાવવા માટે આપી દીધું. FSSAIના નિયમો મુજબ, પનીરમાં ડ્રાય મેટર (પાણી સિવાયનો ભાગ)ના આધારે દૂધમાં ઓછામાં ઓછા 50% ફેટ જોઈએ. પરંતુ રિપોર્ટમાં તેનું પ્રમાણ માત્ર 45.28% હોવાનું માલુમ પડ્યું. જેનો અર્થ થાય છે કે પનીર બનાવવામાં ફૂલ ક્રિમ મિલ્ક નહોતું વાપર્યું અથવા તે દૂધમાંથી મલાઈ કાઢી લેવામાં આવી હોઈ શકે છે. રાણીપ વિસ્તારમાં સરદાર ચોકમાં શ્રી મિલ્ક પેલેસ પનીરનો ભાવ જુદો હતો. અહીંયાં 460 રૂપિયા કિલોના ભાવે પનીર વેચતા હતા. અમે આ પાર્લરમાંથી 300 ગ્રામ પનીરની ખરીદી કરીને અને 138 રૂપિયા ચૂકવ્યા. આ પનીરમાં સ્ટાર્ચ તેમજ કૃત્રિમ રંગ નથી. વળી, બી.આર.રિડિંગમાં પણ આ પનીર ખરું ઉતરે છે. પરંતુ FSSAIના નિયમો મુજબ પનીરમાં 50 ટકા ફેટ જોઈએ. પણ શ્રી મિલ્ક પેલેસમાંથી ખરીદેલા પનીરમાં 40.83 ટકા ફેટ હોવાનું રિપોર્ટમાં જાણવા મળ્યું. જે દર્શાવે છે કે આ સેમ્પલ સ્ટાન્ડર્ડ મુજબ નથી. ધ્યાન રાખજો…બજારમાં ત્રણ પ્રકારે પનીર વેચાય છે ખાસ નોંધવા જેવી વાત એ છે કે 1 કિલોગ્રામ અસલી પનીર બનાવવા માટે 5થી 6 લીટર દૂધ જોઈએ. બજારમાં અસલી દૂધ 60થી 70 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળે છે. એટલે કે અસલી પનીરનો ભાવ 400થી 500 રૂપિયા કિલોથી ઓછો ન હોઈ શકે. જો કોઈ વેપારી 200-250 રૂપિયાના ભાવે પનીર આપે છે તો પૂરેપૂરી સંભાવના છે કે એ અસલી પનીર નહીં જ હોય. વળી, વેપારીઓ એનાલોગ પનીરને અસલી પનીરના નામે ઊંચા ભાવે વેચી રહ્યા છે એ પણ નિયમોનું ઉલ્લંઘન છે. પનીરનો ચટાકો ભારે પડી શકે છેવેજીટેબલ ફેટ એટલે વનસ્પતિમાંથી મેળવવામાં આવતી ચરબી. જે મગફળી, સોયાબીન, સૂર્યમુખી, તલ અને કપાસિયા જેવા તેલીબિયા તેમજ નાળિયેરમાંથી મળે છે. જ્યારે પનીરમાંથી વેજીટેબલ ફેટ મળી આવે છે, ત્યારે તેનો સીધો અર્થ એ છે કે તે પનીર અસલી નથી. અસલી પનીર ફક્ત દૂધમાંથી બને છે. તેમાં રહેલી ચરબી કુદરતી રીતે દૂધની જ હોય છે. જ્યારે વેજીટેબલ ફેટવાળુ પનીર બનાવતી વખતે દૂધમાંથી કુદરતી ક્રીમ એટલે કે ફેટ કાઢી લેવામાં આવે છે અને તેની જગ્યાએ સસ્તું વનસ્પતિ તેલ (જેમ કે પામ ઓઈલ) ઉમેરવામાં આવે છે. જે હૃદયની નળીઓ બ્લોક કરી શકે છે અને કોલેસ્ટ્રોલ વધારે છે. વનસ્પતિ ફેટ ઉમેરવાથી પનીર વધુ સફેદ અને લાંબા સમય સુધી પોચું રહે છે. એક રીતે તો ગ્રાહકો સાથે થતીં છેતરપિંડી કહેવાય. જો પનીરમાં વેજીટેબલ ફેટનું પ્રમાણ 10 ટકાથી 40 ટકા સુધી પણ હોય તો તે કોલેસ્ટ્રોલમાં વધારો કરે છે, પાચનની સમસ્યા ઉભી થાય અને લીવર પર સોજો પણ આવી શકે છે. FSSAIના નિયમો મુજબ, પનીર ફક્ત દૂધ કે દૂધના પાવડરમાંથી જ બનાવી શકાય છે. તેમાં કોઈપણ પ્રકારનું વનસ્પતિ તેલ કે વેજીટેબલ ફેટ ઉમેરવાની કાયદેસર મનાઈ છે. જો 1 ટકા પણ વેજીટેબલ ફેટ હોય તો તેને પનીર ન કહેવાય, તેને 'એનાલોગ પનીર' અથવા મિલાવટી પનીર ગણવામાં આવે છે. આશ્ચર્યની વાત એ પણ છે કે 'એનાલોગ પનીર' પર ભારતમાં પ્રતિબંધ નથી. તમને સવાલ થતો હોય કે આવું કેમ? તો એનો જવાબ પણ જાણી લો. કાયદાકીય રીતે આવી પ્રોડક્ટને કોઈ પણ વેપારી પનીરના નામે વેચી ન શકે. તેના પર ડેરી એનાલોગ અથવા વેજીટેબલ ફેટ બ્લોકનું લેબલ કરવું ફરજિયાત છે. જો કોઈ વેપારી વેજીટેબલ ફેટવાળી પ્રોડક્ટ પર પ્યોર પનીર કે 100 ટકા પનીર લખીને વેચે તો તે ગુનો છે. પરંતુ જો તે એનાલોગ કે નોન-ડેરી પ્રોડક્ટ તરીકે વેચે તો તે કાયદેસર ગણાય. જેમ વનસ્પતિ ઘી એટલે કે ડાલડા અને અસલી ઘી બંને બજારમાં વેચાય છે, તેમ પનીર અને એનાલોગ પનીર બંનેને વેચવાની છૂટ છે, શરત માત્ર એટલી કે તેનું લેબલિંગ સાચું હોવું જોઈએ અને ગ્રાહકને તેની જાણ કરવી પડે. ખાસ નોંધવા જેવી વાત એ છે કે એનાલોગ પનીરને પણ કાયદાકીય માન્યતા ત્યાં સુધી જ પ્રાપ્ત છે જ્યાં સુધી તેમાં ભેળવવામાં આવનતું પામ ઓઈલ ખાવાલાયક કક્ષાનું હોય. ઘણીવાર એનાલોગ પનીરમાંથી કપડાં ધોવાનો પાવડર તેમજ યુરિયા જેવી હાનિકારક વસ્તુઓ ઉમેરવામાં આવી હોવાના સમાચારો પણ મળ્યા છે. જો આવું કાંઈ ભેળવવામાં આવે તો ભલે તેને એનાલોગ કહેવાય પણ તે ગેરકાયદેસર અને ઝેરી બની જાય છે. અમે બોડકદેવમાં આવેલી વિપુલ દૂધિયા સ્વીટ તેમજ જૈન ડેરી તથા જૂના વાડજમાં આવેલી હરિકૃષ્ણા ડેરીમાંથી પણ સેમ્પલ લીધા. આ ત્રણેય જગ્યાના સેમ્પલ FSSAIના નિયમો પ્રમાણે યોગ્ય હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. હરિકૃષ્ણા ડેરીમાંથી લીધેલા પનીરમાં સ્ટાર્ચ કે રંગનું મિશ્રણ ન હતું. વળી બી.આર.રિડિંગ 40થી 44 હોવું જોઈઓ, જે આ સેમ્પલમાં 42 હોવાનું રિપોર્ટમાં માલુમ પડ્યું. આ જ રીતે વિપુલ દૂધિયામાંથી ખરીદેલા પનીરમાં મોઇશ્ચર 58.15 ટકા હતું., જે વધુમાં વધુ 60 ટકા હોવું જોઈએ. મિલ્ક ફેટ ઓછામાં ઓછું 50 ટકા હોવું જોઈએ, જે 52.30 ટકા હતું. આમાં પણ રંગ કે સ્ટાર્ચ ન હતું. બી.આર.રિડિંગ 42.3 હતું. જૈન ડેરીને સેમ્પલ પણ લેબોરેટરી રિપોર્ટમાં ખરા ઉતર્યા. જેમાં મોઇશ્ચર 55.18 ટકા અને મિલ્ક ફેટ 56.15 ટકા હતું. ફોર્માલિન, સ્ટાર્ચ કે કલરની ભેળસેળ ન હતી. એટલું જ નહીં, બી.આર.રિડિંગ 42.0 હતું. બજારમાં વેચાતા હલકી કક્ષાના પનીરથી કેન્સર થઈ શકે છેબજારમાં બેફામ રીતે વેચાઈ રહ્યા બિનઆરોગ્યપ્રદ પનીર આપણને કઈ હદે નુકસાન કરી શકે છે એ સમજવા માટે અમે ગૂજરાત વિદ્યાપીઠના ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ સાયન્સ એન્ડ ન્યૂટ્રીશન ડિપાર્ટમેન્ટના ડીન નિખિલ ભટ્ટને મળ્યા. તેમણે જણાવ્યું, વધારે નફો મેળવવા માટે સસ્તાભાવે પનીર બનાવવામાં આવે છે. સિન્થેટિક પનીર બનાવવા માટે દૂધનું પ્રમાણ ઘટાડી દેવામાં આવે છે. તેને બદલે પામ ઓઇલ નાખે છે, કેટલાક કિસ્સામાં એનાથી પણ સસ્તુ તેલ વપરાય છે, જેથી પનીરમાં ફેટ આવી જાય. પનીર બનાવવામાં ડિટર્જન્ટ, કોસ્ટિક સોડા અને ચૂનો પણ ઉપયોગ કરે છે. જેની પનીરનું વજન વધે અને સારો ભાવ મળે છે. જો આરોગ્યની દૃષ્ટિએ જોઈએ તો આ પનીર ખાવાલાયક નથી હોતું. પનીરની ક્વોલિટી કેવી છે તે ઘણા અંશે ઘરે બેઠાં પણ જાણી શકાય છે. ગૂજરાત વિદ્યાપીઠના ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ સાયન્સ એન્ડ ન્યૂટ્રીશન ડિપાર્ટમેન્ટના પ્રોફેસર પારુલ સાધુએ કહ્યું, જો પનીરને દબાવી જુઓ અને એમાંથી ચિકણું પ્રવાહી નીકળે તો તેનો અર્થ થાય કે કેમિકલનો ઉપયોગ થયો હોઈ શકે. અધિકારીઓએ લીધેલા 30 ટકા સેમ્પલ પણ ફેઇલછેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ ખાસ કરીને દિવાળી સહિતના તહેવારો તેમજ સામાન્ય દિવસોમાં આકસ્મિક રીતે જુદી-જુદી દુકાનોમાંથી પનીરના તેમજ દૂધમાંથી બનતી અન્ય વાનગીઓના સેમ્પલ લીધા હતા. તેમજ તેને લેબોરેટરીમાં ટેસ્ટ કરાયા હતા. ચોંકાવનારી વાત એ છે કે કુલ સેમ્પલના 30 ટકા ફેઇલ ગયા છે. 2023માં 300 સેમ્પલમાંથી 63 જેટલા સેમ્પલ ફેઇલ ગયા હતા. 2024માં તો માત્ર 50 સેમ્પલ જ લેવાય, જેમાંથી 13 સેમ્પલ નિષ્ફળ ગયા હતા. જ્યારે ગયા વર્ષે 625થી વધુ સેમ્પલ લેવાયા જેમાંથી 145 જેટલા સેમ્પલમાં ભેળસેળ હોવાનો રિપોર્ટ આવ્યો. એટલે કે દૂધમાંથી બનાવવામાં આવી વસ્તુ ખાવાલાયક નહોતી. 2026ના વર્ષમાં પણ આવા કેસમાં ચિંતાજનક વધારો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગત જાન્યુઆરી મહિનામાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી ખાદ્ય સામગ્રીના 14 નમૂના લીધા હતા. સરકારી લેબોરેટરીમાં જ્યારે તેનું પરીક્ષણ કર્યું તો 10 ફેઇલ હોવાનું પુરવાર થયું. કેટલીક દુકાનોમાંથી લેવાયેલા પનીરમાં ફેટનું પ્રમાણ ઓછું હોવા ઉપરાંત તે ખાવાલાયક પણ ન હોવાનું સામે આવ્યું હતું.
જીવલેણ હુમલો:પીથલપુરમાં રૂપિયા નથી દેવાના, ભૂલી જાજે તેમ કહી બ્લેડ વડે હુમલો કરાયો
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીથલપુર ગામે પારિવારિક રૂપિયાની લેવડદેવડના વેરઝેરને પગલે ખુલ્લેઆમ હુમલાની ચકચાર મચી હતી. સીતારામ મઢી પાસે દુકાન ચલાવતા કિશોરભાઈ મકવાણા પર તેમના સંબંધી દ્વારા ધારદાર હથિયારથી પ્રાણઘાતક હુમલો કરી 90 હજાર રૂપિયા કેમ માંગ્યા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. ફરિયાદ મુજબ પીથલપુર ગામે સીતારામ મઢી નજીક રહેતા અને ગામમાં દુકાન ચલાવતા કિશોરભાઈ છગનભાઈ મકવાણાએ દાઠા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે સવારના અંદાજે સાડા અગિયારથી બાર વાગ્યા દરમિયાન તેઓ પોતાની દુકાને હાજર હતા ત્યારે તેમનો સંબંધી અને રેલીયા ગામનો વિપુલ મનુભાઈ ભાલીયા મોટરસાયકલ લઈને ત્યાં આવી પહોંચ્યો હતો. આવીને અચાનક જ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલવા લાગ્યો હતો. ગાળો ન આપવા કહેતા વિપુલ વધુ આક્રમક બની હાથમાં ધારદાર બ્લેડ જેવા હથિયારથી કિશોરભાઈના મોઢાના તથા હાથના ભાગે ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તેઓ લોહીલુહાણ હાલતમાં પડી ગયા હતા. હુમલા બાદ આરોપીએ 90 હજાર રૂપિયા નથી દેવાના, ભૂલી જાજે, નહીતર જાનથી મારી નાખીશ એવી ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ફરિયાદીને એમ્બ્યુલન્સ મારફતે સારવારઅર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જયા તેને પોતાના સંબંધી કિશોર મકવાણા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
દારૂની હેરાફેરી ઝડપાઈ:આડોડિયાવાસમાંથી 65 નંગ દારૂની બોટલ ઝડપાઈ
શહેરના આડોડિયા વાસ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ઘોઘા રોડ પોલીસને એક રહેણાંક મકાનની પાછળની નવેડીમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ઘોઘા રોડ પોલીસ ટીમ પેટ્રોલિંગ દરમ્યાન આડોડિયા વાસ વિસ્તારમાં શંકા અંગે ચકાસણી કરી રહી હતી. તે દરમિયાન કાળુ જયંતીભાઈ પરમારના રહેણાંક મકાનમાં તપાસ કરવામાં આવી હતી, પરંતુ તે સ્થળ પરથી હાજર મળ્યો નહોતો. પોલીસે શંકાના આધારે મકાનની પાછળ આવેલી નવેડીમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન એક પ્લાસ્ટિકનો થેલો મળી આવ્યો હતો. પ્લાસ્ટિકના થેલાની તપાસ કરતાં તેમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂની નાની બોટલો મળી આવી હતી. કુલ 65 નંગ બોટલો કબ્જે કરવામાં આવી હતી, જેની અંદાજિત કિંમત રૂપિયા 17,160 ગણવામાં આવી હતી. પોલીસે જથ્થો કબજે કરીને કાળુ જયંતીભાઈ પરમાર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.
પાલીતાણા તાલુકા અંતર્ગત તળાજા વિસ્તારમાંથી ઉદ્ભવેલા દામ્પત્ય કલહના ઉગ્ર બનાવમાં શાંતિપૂર્ણ સમાધાન સુધી પહોંચાડવામાં આવ્યું હતું, જેના પરિણામે વિખૂટા પડવાના આરે પહોંચેલું પરિવાર ફરી સમજણના માર્ગે આગળ વધ્યું હતું. તળાજા તાલુકાની પીડિત મહિલાએ 181 મહિલા હેલ્પલાઇન પર સંપર્ક સાધી રજૂઆત કરી હતી કે તેના પતિએ એક વર્ષના બાળકને પોતાની પાસે રાખી લીધું હતું અને તેને ઘર બહાર કાઢી મુકવામાં આવી હતી, જેથી તેને તાત્કાલિક સહાયની જરૂરિયાત ઉભી થઈ હતી. કોલ પ્રાપ્ત થતા જ 181 તુરંત જ સ્થળ પર દોડી પહોંચ્યા હતા. મહિલાના જણાવ્યા મુજબ તેણે પ્રેમલગ્ન કર્યા હતા અને લગ્નજીવનને અંદાજે પાંચ વર્ષ જેટલો સમય વીતી ગયો હતો. દંપતિને બે સંતાનો છે, જેમાં મોટો દીકરો બે વર્ષનો અને નાનો દીકરો એક વર્ષનો છે. તેણીએ આક્ષેપ કર્યો હતો કે તેનો પતિ અવારનવાર દારૂના નશામાં ઝઘડા કરતો હતો. ઘટનાના દિવસે મહિલા એક લગ્ન પ્રસંગે ગઈ હતી અને મોટો દીકરો પિયરમાં મુકેલો હતો. પતિએ દીકરાને પિયરમાં મુકવા મુદ્દે વાંધો ઉઠાવતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી. વાત વધતા પતિએ મહિલાને ઘરેથી બહાર કાઢી મુકેલી અને નાનું બાળક પોતાની પાસે રાખી લીધું હતું, જેના કારણે પરિસ્થિતિ વધુ વિકટ બની હતી. 181 ટીમે મહિલાને તેના ઘરે લઈ જઈ પતિ સાથે શાંતિપૂર્ણ વાતચીત કરી હતી. દારૂના નશામાં પત્ની સાથે મારકૂટ કરવી તેમજ તેને ઘર બહાર કાઢવી ગેરકાયદેસર અને અયોગ્ય હોવાનું સમજાવવામાં આવ્યું હતું. ઉપરાંત નાનકડા બાળકને માતાથી અલગ ન રાખવા અંગે પણ સંવેદનશીલ રીતે સમજ અપાઈ હતી. બંને પક્ષોને સમજૂતી, સહનશીલતા અને પરસ્પર વિશ્વાસના માર્ગે ચાલવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહિલાને તેના કાયદાકીય અધિકારો તથા નજીકના પોલીસ સ્ટેશન અંગે જરૂરી માહિતી પણ આપવામાં આવી હતી. હાલ મહિલાએ કાયદાકીય કાર્યવાહી આગળ ન વધારવાની ઇચ્છા વ્યક્ત કરતા 181 ટીમની મધ્યસ્થતાથી બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હતું અને મહિલા પોતાની ઇચ્છાથી પતિ સાથે રહેવા સંમત થઈ હતી. જરૂર જણાય તો ફરી 181 મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી હતી.
માર્ગ અકસ્માતે નિર્દોષ મજૂરનો જીવ લીધો:રીક્ષા પલટી જતા બાંધકામ મજૂરનું કરૂણ મોત નિપજ્યું
ભાવનગર શહેરમાં વધુ એક માર્ગ અકસ્માતે નિર્દોષ મજૂરનો જીવ ભક્ષી લીધો હતો. કુંભારવાડા વિસ્તારમાં રહેતા મહેશભાઈ ચૌહાણનું ડેરી રોડ પર જયદીપ હોસ્પિટલ પાસે રીક્ષા પલટી જતાં ગંભીર ઇજાઓને કારણે મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ લોકો પણ ઇજાગ્રસ્ત થયા હતા. આ બનાવ અંગે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ભાવનગર શહેરના કુંભારવાડા ખાતે રહેતા રોહિતભાઈ નાથુભાઈ ચૌહાણ પોતાના વ્યવસાય સ્થળે હાજર હતા ત્યારે તેમના પરિચિત પ્રકાશભાઈ ચૌહાણનો ફોન આવ્યો હતો કે તેમના ભાઈ મહેશભાઈ સહિત અન્ય ત્રણ વ્યક્તિઓ જ્વેલ્સ સર્કલ પાસે ડેરી રોડ પર જયદીપ હોસ્પિટલ નજીક રીક્ષા પલટી જતાં ઇજાગ્રસ્ત થયા છે અને એમ્બ્યુલન્સ મારફતે તેમને સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ જાણ થતા રોહિતભાઈ તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયા હતા, જ્યાં તેમના ભાઈ મહેશભાઈને માથા, મોઢા અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં ઇમર્જન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ફરજ પરના તબીબોએ મહેશભાઈને મૃત જાહેર કર્યા હતા. ફરિયાદ મુજબ, રીક્ષા નંબર GJ 04 AU 8454 નો ચાલક બેફિકરાઈપૂર્વક અને ગફલતભરી રીતે રીક્ષા હંકારી રહ્યો હતો, જેના કારણે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. મૃત્યુ પામનાર મહેશભાઈ ચૌહાણ વ્યવસાયે બાંધકામ મજૂરી સાથે જોડાયેલા હતા અને આરટીઓ સર્કલ પાસેથી અન્ય મજૂરો સાથે રીક્ષા ભાડે લઈ યુનિવર્સિટીમાં મજૂરી કામે જઈ રહ્યા હતા ત્યારે આ કરૂણ અકસ્માત બન્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
શહેરની હૃદય સ્થળીમાં આશરે 202 હેક્ટર જેટલી વિશાળ જમીન પર વિસ્તરાયેલા વિક્ટોરિયા પાર્ક આજે શહેરના ફેફસા સમાન કાર્ય કરી રહ્યો છે, તા. 24 મે 1888 ના રોજ તત્કાલીન મહારાજા તખ્તસિંહ ગોહિલ દ્વારા ખુલ્લો મુકાયો હતો તે હાલ શહેરના 6 લાખથી વધુ લોકોને શુદ્ધ હવા આપે છે. આ જંગલમાં જૈવ વૈવિધ્યનો અદભુત ખજાનો રહેલો છે, પરંતુ અમુક શહેરવાસીઓના બેદરકારી પૂર્ણ વર્તનના લીધે વન્ય પશુ પક્ષીની આહાર શૃંખલામાં ખલેલ પહોંચી રહી છે જે ખૂબ જ ચિંતાજનક પરિસ્થિતિ ઊભી કરે છે. આ રિઝર્વ ફોરેસ્ટમાં સસલા, શિયાળ, નીલગાય, સાપ, ઉંદર સહિત અનેક પક્ષીઓ વસવાટ કરી રહ્યા છે, આ જંગલના કુદરતી સ્ત્રોતથી તેઓ જીવન પયાન કરી રહ્યા છે. આ વન્ય પ્રાણીઓ શિકાર ઘાસચારો અને જંગલના કુદરતી સ્ત્રોતથી આહાર મેળવે છે, પરંતુ આ પાર્કની આજુબાજુ ની સોસાયટીમાં રહેતા કેટલાક નાગરિકો પાર્કની દિવાલ પાસે રોટલા રોટલી અને એંઠવાડ એકવાથી ભાવ અન્ય પ્રાણીઓ મિશ્રા આહારી હોવાથી તેની સુગંધથી ખોરાક લેવા માટે બહાર આવી જાય છે શિયાળ એક મિશ્ર આહારી રાણી છે તે રોટલા રોટલી ની સુગંધ ને લીધે પાર્કની આજુબાજુના ભાગમાં આવી જાય છે જેના લીધે સ્વાભાવિક શિકારી વૃત્તિ અને સ્વ નિર્ભર આહાર પદ્ધતિ પર આંચકો લાગે છે, તેમજ સસલા અને નીલગાય માનવીય ખોરાકની લાલચમાં બહાર રોડ પર આવી જતા હોય છે જેના લીધે અકસ્માત થવાનો પણ થઈ રહે છે. માનવીય ખોરાક ઉપર વન્ય પ્રાણીઓની નિર્ભરતા વધે છે, તેનાથી તેની કુદરતી જીવનશૈલી ધીમે ધીમે નષ્ટ થવા લાગે છે. વધુમાં સવાર અને સાંજ આ પાર્કમાં ચાલવાની મળેલી છૂટછાટથી નાગરિકો કપડામાં સંતાડીને અનાજના દાણા લાવી પાર્કમાં પક્ષીઓને ચણ નાખવાની પ્રવૃત્તિ વધી રહી છે. આ પ્રવૃત્તિથી વન્ય પક્ષીઓને કુદરતી આહાર માટે પુરવઠો શોધવાની આદત પર અસર પડી પણ રહી છે, જેથી વન્ય પશુ પક્ષીની કુદરતી આહાર શૃંખલાને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે માણસોએ ખલેલ પહોંચાડવાનું પણ બંધ કરવું જોઈએ. સૌરાષ્ટ્ર સમાચાર એક્સપર્ટવન્ય પ્રાણીને ખાવાનું દેવું એ જ ગુનો છેભાવનગર શહેરના વિક્ટોરિયા પાર્કમાં આવેલા વન્ય પશુઓ અને પક્ષીઓ એ મિશ્રા આહારી છે, તેઓને બહારથી ખોરાક આપવાને લીધે તેઓની આહાર લેવાની આદતમાં ખલેલ પહોંચે છે, વન્ય પ્રાણીઓને ખાવાનું આપવું એ જ ગુનો છે, જેમાં નાગરિકોએ કાળજી લઈ કુદરતી આહાર શૃંખલામાં છેડછાડ કરવી જોઈએ નહીં. વન્યપ્રાણીની પ્રકૃતિએ પાલતુ પ્રાણીની પ્રકૃતિ કરતા અલગ હોય છે. - ડો.ઈન્દ્રભાઈ ગઢવી, અધ્યક્ષ મરીન સાયન્સ MKBU
હવામાન વિભાગની આગાહી:માર્ચમાં બપોરે તાપમાન 35 ડિગ્રીથી 37 ડિગ્રી વચ્ચે રહેશે
આદીકાળથી કહેવાતુ આવે છે કે મહા શિવરાત્રી આવે એટલે ઠંડીની શિવ શિવ શિવ કહેતા વિદાય. સાથે સાથે શરીરમાથી ઠંડી દૂર કરવા હોળીની જવાળા ની નજીક શરીરને રાખી શેકી શરીરમાથી ઠંડી દૂર કરતા. હવે 25 જુન સુધીના 115 દિવસો આકરા ઉનાળાના અસહ્ય દિવસો માટે તૈયાર રહેવાનુ. આ વર્ષે કડકડતી ઠંડીના અનુભવ વગર શિયાળો પુરો થયો. ભાવનગરમાં આ માર્ચ મહિનામા તાપમાન 35 ડિગ્રીથી 37 ડિગ્રી કે તેથી વધુ રહેશે ધૂળની ડમરી સાથે શુષ્ક રહેશે. ભાવનગરમા માર્ચ મહિનામાં સુકી હવા ,આકાશ સ્વચ્છ અને તીવ્ર સૂર્ય પ્રકાશને લીધે પાણી કરતા જમીન ખુબ ઝડપથી ગરમ થાય છે. સમુદ્ર નજીક છે અને પ્રમાણમા ઠંડો હોય છે તેના પરથી ફૂકાતો હળવો પવન વધુ મજબુત બની ઠંડક પ્રસરાવે છે. એટલે જ ભાવનગરમા લૂ ફૂંકાતી નથી. આમ સાંજના 6 થી 8 કલાક દરમ્યાન હવામાન આરામદાયક લાગે છે. માર્ચમાં પ્રથમ સપ્તાહ (તા.1 થી 7) દરમ્યાન દિવસે 30થી 32 ડિગ્રી તથા રાતના 19-21 ડિગ્રી તાપમાન રહેસે. 10 થી 11 કલાકના સૂર્ય પ્રકાશમા ચોખ્ખુ શુષ્ક આકાશ રહેશે તથા માવઠાની શકયતા નથી. બીજા સપ્તાહમાં ( તા.8 થી 14 )દિવસે 32 થી34 ડિગ્રી અને રાત્રિના 20 થી 22 ડિગ્રી તાપમાન સાથે વિશેષ ગરમી લાગશે. ત્રીજા સપ્તાહ ( તા.15 થી 21 ) દરમ્યાન તાપમાન વધતા 33 થી 35 ડિગ્રી દિવસે અને 21 થી 23 ડિગ્રી તાપમાન રાત્રે લાગશે માવઠુ થવાની શકયતા નકારી શકાતી નથી. જ્યારે ચોથુ સપ્તાહ ( તા.22 થી 31 ) મહિનાનુ છેલ્લુ સપ્તાહ સૌથી વધુ ગરમીથી અકળાવનારૂ રહેશે. 34 થી 36 ડિગ્રી દિવસનુ અને 22 થી 24 ડિગ્રી તાપમાન અને ભેજના કારણે બફારો અસહ્ય બનશે. માવઠાની શકયતાઓ પણ છે. - બી આર પંડિત, હવામાન શાસ્ત્રી શહેરમાં બે દિવસમાં તાપમાન 3 ડિગ્રી વધી ગયુબે દિવસમાં મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો થયો છે. શહેરમાં આજે મહત્તમ તાપમાન વધીને 32.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન પણ વધીને 21 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. રાતનું તાપમાન સામાન્યથી 2.7 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયુ હતુ. આજે પવનની ઝડપ સવારે 6 કિલોમીટર અને સાંજના સમયે પવનની ઝડપ 10 કિલોમીટર નોંધાઇ હતી. હવે માર્ચમાં બપોરના અને રાતના સમયે તાપમાન વધશે. ભાવનગરમાં દરિયો નજીક હોય હિટ ઈન્ડેક્ષ વધુભાવનગર દરિયાની નજીક હોવાથી ગરમી હોય તેનાથી વિશેષ ( હિટ ઈન્ડેક્ષ) અનુભવાય છે તેથી મે અને જૂનમાં જો તાપમાન 40 ડિગ્રીથી 42 ડિગ્રી અને ભેજ હોય તો તાપમાન 46 ડિગ્રીથી 47 ડિગ્રી સુધી લાગે છે. માર્ચ મહિનામા તાપમાન 35 ડિગ્રીથી 37 ડિગ્રી કે તેથી વધુ રહેશે ધૂળની ડમરી સાથે શુષ્ક રહેશે.
હોલિકા દહન:આજે સાંજે 6.40 થી રાતના 9.05 સુધી હોલિકા દહનનો શ્રેષ્ઠ સમય
આ વર્ષે પંચાંગ પ્રમાણે ફાગણ સુદ ચૌદસને સોમવારે તા.2 માર્ચના દિવસે હોળી છે. આવતી કાલ સોમવારે સાંજે 5:57 વાગ્યાથી પૂનમ તિથિની શરૂઆત થાય છે. જે મંગળવારે સાંજના 5:09 વાગ્યા સુધી પૂનમ તિથિ છે ખાસ કરીને હોળીમાં પૂનમ ભદ્રા રહિત હોય અને પ્રદોષકાળ વ્યાપીની હોય તેવી પૂનમ લેવી તેવો શાસ્ત્રનો મત છે. આવતી કાલ તા.2 માર્ચને સોમવારે હોલિકા દહન કરવાનો શ્રેષ્ઠ સમય સાંજે 6:40 થી રાતના 9.05 સુધીનો છે તેમ શ્રીધર પંચાગવાળા કિશનભાળઇ જોષીએ જણાવ્યું હતુ. આ વર્ષે 3 માર્ચના રોજ હોળી છે. હોળાષ્ટક ફાગળ સુદ આઠમ તા. 24 ફેબ્રુઆરીથી શરુ થાય છે અને હોળિકા દહનની સાથે સમાપ્ત થાય છે. હોલિકા દહન ફાગણ સુદ 14 સોમવાર તા.તા.2 માર્ચને સોમવારે છે. ફાગણ સુદ 14 સોમવારના દિવસે સાંજે 05.55 સુધી ચૌદશ તિથિ છે ત્યારબાદ પૂનમ તિથિ શરૂ થાય છે. જે મંગળવારે સાંજે 05.07 સુધી છે. સાંજના સમયે પૂનમ હોય ત્યારે હોલિકા દહન કરવું એમ શાસ્ત્રમાં દર્શાવેલ છે આથી ફાગણ સુદ 14 સોમવાર તા 2 માર્ચને સોમવારે સાંજે પૂનમ તિથિ હોવાથી સોમવારે હોળી પર્વ ઉજવવું અને તે દિવસે સાંજે હોલિકા દહન કરવું.
અભૂતપૂર્વ સિદ્ધિ:સૌથી મોટું ફિશ ફેક્ટરી શિપ અલંગમાં થયુ સમાપ્ત, ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બન્યો
વૈશ્વિક જહાજ-રીસાયક્લિંગ ઉદ્યોગ માટે એક અભૂતપૂર્વ સિદ્ધિમાં, અલંગમાં વિશાળ ફિશ ફેક્ટરી શિપ ડિવોને ભાંગી નાંખવામાં આવ્યું છે, જેનાથી રીસાયક્લિંગ માટે તોડી પાડવામાં આવેલા અત્યાર સુધીના સૌથી મોટા ફિશ ફેક્ટરી શિપ તરીકે નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત થયો છે. આ શિપ નવેમ્બર 2025માં અલંગના પ્રિયા બ્લૂ ખાતે બીચ થયુ હતુ અને જાન્યુઆરી-2026માં સંપૂર્ણપણે ભાંગી નાંખવામાં આવ્યુ હતુ. જાન્યુઆરી 2026માં ડિવો રીસાયક્લિંગ પ્રોજેક્ટનું સમાપન દરિયાઈ ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ છે, જે આધુનિક ઓફશોર ફિશિંગ શિપના વિશાળ સ્કેલ અને દક્ષિણ એશિયામાં જહાજ-રીસાયક્લિંગ સુવિધાઓની વધતી જતી તકનીકી ક્ષમતાઓ બંનેને દર્શાવે છે. અલંગ યાર્ડના શિપબ્રેકિંગ કર્મચારીઓએ તેમના નિયમિત કાર્યભારના ભાગ રૂપે ડિવો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો, પરંતુ આ કાર્યને જે અલગ પાડે છે તે જરૂરી સ્કેલ અને ચોકસાઇ હતી. પ્રિયા બ્લુ ઇન્ડસ્ટ્રીઝ - જેણે પહેલાથી જ મોટા જહાજોને તોડી પાડવાનો ટ્રેક રેકોર્ડ સ્થાપિત કર્યો હતો - જાન્યુઆરી 2026ની શરૂઆતમાં ડિવોનું સફળ રીસાયક્લિંગ કર્યુ, ડિવો શિપને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ તરફથી સત્તાવાર માન્યતા પ્રાપ્ત થઈ. ગીનીસ વર્લ્ડ રેકોર્ડ્સ તરફથી માન્યતા દર્શાવે છે કે આ પ્રોજેક્ટ ફક્ત પ્રિયા બ્લુ માટે જ નહીં પરંતુ મોટાભાગે જહાજ-રીસાયક્લિંગ ક્ષેત્ર માટે કેટલું મહત્વપૂર્ણ છે. 26136 મે.ટનનું શિપ ડિવો નવે.2025માં લાંગર્યુ હતુ ટેન્કરમાંથી ડિવો શિપ ફિશ ફેક્ટરીમાં તબદીલ થયુએન્ડર્સ જાહરે હેઠળ નોર્વેજીયન શિપિંગ હિતો માટે પ્રોડક્ટ ટેન્કર તરીકે બનાવવામાં આવેલ જહાજ, બાદમાં ડિવો બન્યુ હતુ. તેના જીવનકાળ દરમિયાન નોંધપાત્ર પરિવર્તનનો અનુભવ કર્યો. દાયકાઓ પહેલા લાંબા સમુદ્રી સફર પર માછલીઓને પ્રોસેસ કરવા અને સંગ્રહિત કરવા માટે રચાયેલ ફેક્ટરી જહાજમાં પુનઃઉપયોગ કરવામાં આવેલ, આ જહાજ વ્યાપારી માછીમારી કામગીરી માટે બનાવવામાં આવેલા સૌથી મોટા જહાજોમાંનું એક બન્યું, જે વૈશ્વિક દરિયાઈ વાણિજ્યમાં પ્રાથમિકતાઓમાં ફેરફારનો પુરાવો છે.
PGVCL એક્શન મોડમાં:PGVCLના 1.25 લાખ ગ્રાહકો પાસેથી 36.32 કરોડ વસુલાયા
ભાવનગર જિલ્લામાં PGVCL વીજળી બિલના બાકી લેણાં મામલે કડક બન્યું છે. ચાલુ નાણાકીય વર્ષ-2025/2026ના અંતે વીજળીના બાકી બિલો વસુલવાની કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. PGVCL ભાવનગર સર્કલ નીચેના કાર્યક્ષેત્રમાં ફેબ્રુઆરી મહિનામાં મેગા ડિસકનેક્શન ડ્રાઈવ સહિતની કામગીરીથી PGVCLના 1.25 લાખ ગ્રાહકો પાસેથી રૂ.36.32 કરોડ વસુલાયા છે. જેમાં ખાસ કરીને ભાવનગર જિલ્લામાં વીજળીનું બિલ નહીં ભરનારા 6270 વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા. છેલ્લા 28 દિવસની કાર્યવાહીમાં ફેબ્રુઆરી-2026 મહિનામાં ભાવનગર PGVCL સર્કલમાં 10957 કર્મચારીઓને કામે લગાડી કલેક્શન અને ડિસકનેક્શન ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં વીજળીના બાકી બિલના કુલ રૂ.4.55 કરોડની રકમ નહીં ભરનારા 6270 ગ્રાહકોના જોડાણ કટ્ટ કરી દેવાયા હતા. કલેક્શન અને ડિસકનેક્શન ડ્રાઈવમાં ગત જાન્યુઆરી-2026 મહિનામાં 58 હજાર ગ્રાહકો સામે કડક કાર્યવાહી કરી કુલ રૂ.23.56 કરોડની બાકી લ્હેણી રકમની વસુલાત કરાઈ હતી. જાન્યુઆરી મહિનાની સરખામણીએ ચાલુ ફેબ્રુઆરી મહિનામાં કલેક્શન અને ડિસકનેક્શન ડ્રાઈવ તેજ બનાવી દેવામાં આવી હતી. જેમાં ભાવનગર શહેરી વિસ્તારના 11 અને ગ્રામ્ય વિસ્તારના 21 સબ ડિવિઝનોમાં કુલ 5478 ટીમોના જંગી કાફલા સાથે કલેક્શન અને ડિસકનેક્શન ડ્રાઈવની કામગીરી કરવામાં આવી હતી. ચાર જિલ્લામાં બાકી બિલના રૂ.14.39 કરોડની રકમ સામે રૂ.13.05 કરોડની આવક થઈ છે.
સિટી એન્કર:માત્ર 55 છાત્રો, છેવાડાનું ગામ અને શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ
શિક્ષકો ધારે તેવું પરિણામ લાવી શકે છે. તેનું ઉદાહરણ ભવાનીપુરા પ્રાથમિક શાળા છે. છેવાડાના ગામમાં આવેલી ધોરણ 1 થી 8 ની શાળામાં માત્ર 55 વિદ્યાર્થીઓની સંખ્યા છે અને સામે માત્ર 5 જ શિક્ષકો છે. 3 વીઘા જમીનમાં ફેલાયેલી શાળાએ પોતાની મહેનત દ્વારા શાળા માટેનો શ્રેષ્ઠતાનો એવોર્ડ મેળવીને અન્ય શાળાઓને અંગુલી નિર્દેશ કર્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા સક્ષમ શાળા માટેના એવોર્ડ જાહેર કરવામાં આવ્યા છે.જેમાં ગ્રામીણ કક્ષાનો પ્રથમ પુરસ્કાર ઘોઘા તાલુકામાં આવેલા છેવાડાના ગામ ભવાનીપુરાની શાળાને પ્રાપ્ત થયો છે. 1000 લોકોની પણ માંડ વસ્તી નથી અને અને જે ગામ પછી રસ્તાઓ પણ પૂર્ણ થઈ જાય છે એ ગામની શાળાએ આ રીતે સિદ્ધિ મેળવી છે. આચાર્ય સનતભાઈ રમણાએ જણાવ્યું કે, શાળામાં ઓછી સંખ્યા અને ઓછા શિક્ષકો હોવા સામે ખૂબ જ વિશાળ ત્રણ વીઘા જમીનમાં ફેલાયેલી શાળા છે. જે વૃક્ષો વનરાજીથી ઘેરાયેલી અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતી જંગલ વિસ્તારની શાળા હોય તેવું વાતાવરણ છે. જેના કારણે પર્યાવરણ, સ્વચ્છતા જેવા માપદંડોમાં પણ આ શાળા અવ્વલ બની છે. ઓછો મેન પાવર પણ મજબૂત ઈચ્છા શક્તિ ધરાવતી શાળાના શિક્ષણ જયદીપભાઇ મકવાણાએ જણાવ્યું કે, શાળાના વિદ્યાર્થીઓ વિજ્ઞાન મેળા, રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતની તમામ પ્રવૃત્તિઓમાં સિદ્ધિ પ્રાપ્ત કરે છે અને બધા માપદંડોને આધારે પુરસ્કાર મળ્યો છે. જમી લીધા પછી થાળી, વાટકા, ચમચી ખાઈ જવાની કૃતિ બનાવીઆ વખતે વિજ્ઞાન મેળામાં ભવાનીપુરા પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકો ચમક્યા હતા. જિલ્લા કક્ષાના કાર્યક્રમ વખતે વિદ્યાર્થીઓએ બનાવેલી કૃતિ જમી લીધા પછી પણ થાળી, વાટકા, ચમચી ખાઈ જવાના તે પ્રકારે લોટમાંથી વાસણો બનાવ્યા હતા. પ્લાસ્ટિકના જે કપ કે થાળીઓ આપણે જમી લીધા પછી એઠવાડમાં ફેંકી દેતા હોઈએ છીએ તે પ્રદૂષણને રોકવા તેમજ પર્યાવરણને ઉપયોગી થવા આ રીતની કૃતિએ તાલુકામાં પ્રથમ નંબર મેળવ્યો છે.
મંડે પોઝિટીવ:સંતાનોને બોર્ડના કેન્દ્ર સુધી મુકવા લેવાની ચિંતામાંથી મજુર વાલીઓને હાશકારો
આર્થિક રીતે સામાન્ય અને મજૂર વર્ગના લોકોને પોતાના સંતાનોને ઉચ્ચ અભ્યાસ તો કરાવવો હોય છે પરંતુ આર્થિક નબળી પરિસ્થિતિ અવરોધરૂપ બને છે. અને તેમાં પણ સંતાનોના કારકિર્દીના પાયા સમાન બોર્ડની પરીક્ષાઓમાં રોજનું લાવી રોજ ખાતા માતા પિતા માટે પણ પરીક્ષા જ હોય છે. બોર્ડની પરીક્ષા સમયે સમયસર સંતાનોને પરીક્ષા કેન્દ્ર સુધી લેવા મૂકવા જવા માટે માતા પિતાએ તે દિવસનું દાડીયું પાડવું પડતું હોય છે. એક દિવસની રોજગારી પર નહીં જવાથી પણ ગરીબ ઘરનું બજેટ ખોરવાઈ જતું હોય છે. જે માતા પિતાની વેદના સમજી તળપદા કોળી જ્ઞાતિના યુવાનો કોઈપણ નાત જાતના ભેદભાવ વગર ધોરણ 10 ના વિદ્યાર્થીઓને શહેરના કોઈપણ પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચાડવા અને કેન્દ્ર પરથી પરત લાવવાની વિનામૂલ્યે વ્યવસ્થા કરી રહ્યા છે. ભાવનગર શહીદ સેવા સંગઠન, તળપદા કોળી જ્ઞાતિ ઠાકર દ્વારા ટ્રસ્ટ તથા તળપદા કોળી જ્ઞાતિના યુવાનોના સહકાર દ્વારા સતત પાંચમાં વર્ષે પણ ધોરણ 10 ના 200 કરતા પણ વધારે વિદ્યાર્થીઓને વાહન દ્વારા ખેડૂતવાસ બુદ્ધદેવ સર્કલથી પરીક્ષા કેન્દ્ર સુધી મુકવાની અને પરત લાવવાની વિનામુલ્યે સેવા કરી રહ્યા છે. ખેડૂતવાસ બુદ્ધદેવ સર્કલથી ભાવનગરના શહેરના કોઈપણ ખૂણે આવેલ પરીક્ષા કેન્દ્ર સુધી મુકવાની અને પરત લાવવાની સરાહનીય સેવા યુવાનો બજાવી રહ્યા છે. હાલમાં ચાલી રહેલ ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં બાળક સમયસર પહોંચે અને મજૂરી કામમાં રજા પણ ન પાડવી પડે તે ચિંતામાંથી માતા પિતાને હાંશકારો મળ્યો છે. હાલમાં કરચલીયા પરા ખેડૂત પાસે અને ભાલ પંથકના ગામોના મજૂર વર્ગના માતા પિતાના બાળકો લાભ લઈ રહ્યા છે. પ્રથમ દિવસે બાળકોને બોલપેન, પાણીની બોટલ તથા ચોકલેટ આપી મીઠા મો કરાવી પરીક્ષામાં સારા માર્ક્સ સાથે પાસ થઈ શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યમાં ભાવનગર શહીદ સેવા સંગઠન, તળપદા કોળી જ્ઞાતિ ઠાકર દ્વારા ટ્રસ્ટ તથા સાગરભાઇ ચુડાસમા, રાકેશભાઈ પરમાર, હિરેનભાઈ સોલંકી, હાર્દિકભાઈ મકવાણા તથા તળપદા કોળી જ્ઞાતિના યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.
નાગપુરમાં વિસ્ફોટકો બનાવતી કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ : 18નાં મોત
રાઉળગાવની એસબીએલ કંપનીમાં સવારે સાત વાગ્યે દુર્ઘટના મૃતદેહો ઓળખાય નહિ તેવી હાલતમાં : સમગ્ર વિસ્તાર પ્રચંડ વિસ્ફોટથી ધણધણ્યો : કામદારોના પરિવારોમાં ભારે આક્રોશ મુંબઈ: નાગપુર જિલ્લાના કાટોલ તાલુકામાં રાઉલગાંવ ખાતે આવેલી વિસ્ફોટક બનાવતી એસબીએલ એનર્જી લિમિટેડની ફેક્ટરીમાં આજે સવારે થયેલ ભીષણ વિસ્ફોટમાં ૧૮ વ્યક્તિના મોત થયા હતા. જ્યારે આ ઘટનામાં ૨૪થી વધુ લોકો ઘાયલ થયા હતા. કામદારોના મૃતદેહ ઓળખી પણ ન શકાય તે હાલતમાં ક્ષતવિક્ષત થઈ ગયા હતા. મહારાષ્ટ્ર સરકારે સમગ્ર બનાવની તપાસના આદેશો આપ્યા છે.
PMJAY યોજના બની વરદાન સમાન:રાજકોટમાં બે વર્ષમાં 2,64,544 દર્દીએ PMJAY હેઠળ 800 કરોડની સારવાર લીધી
ભારત સરકારની આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મા વાત્સલ્ય યોજના હેઠળ ગરીબ-મધ્યમવર્ગના નાગરિકોને રૂપિયા 5 લાખથી લઈ દસ લાખ સુધીની મર્યાદામાં વિવિધ પ્રકારની ગંભીર બીમારીઓ અને સર્જરી પ્રોસિજરોની સારવાર નિઃશુલ્ક ઉપલબ્ધ છે ત્યારે છે બે વર્ષમાં રાજકોટ શહેર-જિલ્લામાં 2,64,544 લાભાર્થીએ આ યોજનાનો લાભ લઈ રૂ.800 કરોડની સારવાર મેળવી હોવાના આંકડા સામે આવ્યા છે. વિધાનસભાના બજેટ સત્રમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ પૂછેલા પ્રશ્નના જવાબમાં રાજ્યના આરોગ્ય મંત્રીએ જવાબ આપતા જણાવ્યું હતું કે, ભારત સરકારની વિવિધ જનઆરોગ્ય સેવા હેઠળ આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મા વાત્સલ્ય યોજના હેઠળ રૂપિયા 5 લાખથી લઈ 10 લાખ સુધીની સારવાર આપવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 2,64,544 લાભાર્થીએ આ યોજનાનો લાભ લીધો હતો. જે અન્વયે 107 હોસ્પિટલને રૂ.754.75 કરોડ ચૂકવવામાં આવ્યા છે અને હજુ પણ 68 હોસ્પિટલને 46.28 કરોડના ચૂકવણા કરવાના બાકી છે. મહત્ત્વનું છે કે,રાજકોટ જિલ્લામાં ફેબ્રુઆરી મહિના સુધીમાં સરકારની ત્રણેય યોજનામાં મળી કુલ 13,29,947 લાભાર્થી નોંધાયેલ છે. આ યોજના હેઠળ મળે છે 2681 પ્રકારની મફત સારવારસરકારની આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મા વાત્સલ્ય યોજના હેઠળ પાત્રતા ધરાવતા દર્દીઓને કેન્સર, હૃદયરોગ, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, મોતિયો, પ્રસૂતિ, કિડની, ડાયાલિસીસ, ન્યુરોસર્જરી, સ્પાઇન સર્જરી સહિતની વિવિધ પ્રકારની 2681 જેટલી સારવાર નિઃશુલ્ક મળે છે.
યુવાને જીવાદોરી કાપી:મણિનગરમાં અગમ્ય કારણોસર યુવાને ફાંસો ખાઈ આપઘાત કર્યો
શહેરના ગ્રીનલેન્ડ ચોકડી પાસે મણિનગર શેરી નં-4માં રહેતા ગિરિશભાઈ અણદાભાઈ કાપલી (ઉ.વ.28) નામના યુવાને રવિવારે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. બપોરે 12 વાગ્યે યુવકનો મોટો ભાઈ ઘરે આવતા ગિરિશને લટકતી હાલતમાં જોઈ ચોંકી ઉઠ્યો હતો. જે બાદ 108ની ટીમે યુવાનને મૃત જાહેર કરતા બી-ડિવિઝન પોલીસે મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. મૃતક ત્રણ ભાઈઓમાં વચેટ અને અપરિણીત હતો. યુવકે ક્યા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ બેડી ચોકડીથી સોખડા ચોકડી તરફ જતા રસ્તે ટૂવ્હિલરને ટ્રકે ઠોકરે લેતા અકસ્માતમાં દંપતી ખંડિત થયું હતું. ટ્રકના ટાયર નીચે કચડાઈ જવાથી પ્રૌઢનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે પ્રૌઢાને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. નવાગામ રાણપુરમાં રહેતા ચંદુભાઈ પોપટભાઈ વેકરિયા(ઉં.વ.55) તેમના બાઇક પર બેસાડી પત્ની કાંતાબેન વેકરિયા(ઉં.વ.50)ને લઈને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે બેડી ચોકડીથી સોખડા ચોકડી વચ્ચે બાઈકને ટ્રકે ઠોકરે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પ્રૌઢ ફંગોળાઈને ટ્રકના ટાયર નીચે કચડાઈ જતા ઘટનાસ્થળે જ તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે પ્રૌઢાને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેઓની હાલત ગંભીર છે. બનાવા અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસ મથકે જાણ કરતા જમાદાર લક્ષ્મણભાઈ મહાજન સહિતનાઓએ સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં, મૃતક પ્રૌઢ ખેતીકામ કરી ઘરનું ગુજરાત ચલાવતા હતા. ઘરે પરત ફરતી વખતે રસ્તામાં દુર્ઘટના સર્જાતા દંપતી ખંડિત થયું હતું. બનાવથી બે દીકરીઓએ પિતાનું છત્ર ગુમાવ્યું છે.
રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલ ગંગોત્રી પાર્ક મેઇન રોડ નજીકનો ખુલ્લો પ્લોટ કોર્પોરેશનનું ડમ્પિંગ યાર્ડ બની ગયું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. જોકે આશ્ચર્ય એ વાતનું છે કે આ ખુલ્લા પ્લોટની બાજુમાં જ કેન્સર હોસ્પિટલ આવેલી છતાં સ્વચ્છતા સર્વેક્ષણના બણગા ફૂંકતું કોર્પોરેશન તંત્ર આ ગંદકી પ્રત્યે પગલાં લેતું નથી. ગંગોત્રી પાર્કના રહેવાસીઓના જણાવ્યા મુજબ અહીં છેલ્લા ઘણા સમયથી કચરાના ગંજ ખડકાઇ રહ્યા છે. આ ખુલ્લા પ્લોટની સામેની તરફ બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ તેમજ નજીકમાં જ કેન્સર હોસ્પિટલ આવેલી હોવા છતાં મનપા તંત્ર નાગરિકો તો ઠીક ગંભીર બીમારી ધરાવતા દર્દીઓને ધ્યાને રાખીને પણ સફાઇ કામગીરી કરતું નથી. ઊલટું અહીં કચરાના ઢગલા પણ અવાર-નવાર સળગાવવામાં આવતા હોય પર્યાવરણને નુકસાન પહોંચી રહ્યું છે. આ સંજોગોમાં રાજકોટ મહાનગરપાલિકા તંત્ર સત્વરે ગંદકીના ગંજ હટાવી સ્થાનિકોની હાલાકી ઘટાડે તેવી માગણી ઉઠી છે.
રાજકોટ શહેરના રેસકોર્સ બગીચામાં બે દિવસ પૂર્વ પતિ સાથે રાત્રિના સમયે વોકિંગમાં નીકળેલ પરિણીતાની સરાજાહેર છેડતી કરવાના બનાવને રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડો.દર્શિતા શાહે અતિ ગંભીર ગણાવી મ્યુનિસિપલ કમિશનરને વેધક સવાલ પૂછતા કહ્યું હતું કે, જ્યારે પરિણીતાની છેડતી થતી હતી ત્યારે કોર્પોરેશનના સિક્યુરિટી ગાર્ડ શું કરતા હતા? વાત આટલેથી જ નથી અટકતી છેડતી કરનાર બીજા દિવસે પણ એ જ સ્થળે આવે છે તે શું બતાવે છે ? સહિતના સવાલો ઉઠાવ્યા હતા. ધારાસભ્યએ ઉમેર્યું હતું કે, તેમને ઢીલા ઢફ તમામ સિક્યુરિટી ગાર્ડને છૂટા કરવા અને નિવૃત્ત આર્મીને બગીચાની સુરક્ષાની જવાબદારી સોંપવા કમિશનરને સૂચના આપી છે. રંગીલા રાજકોટ શહેરમાં બહેન દીકરીઓ મોડીરાત્રે પણ શહેરમાં આરામથી ફરી શકે છે તેવી છાપ છે ત્યારે બે દિવસ પૂર્વે રેસકોર્સ બગીચામાં પતિ સાથે વોકિંગમાં નીકળેલી પરિણીતા સાથે ભજિયાંના કારીગરે આછકલાઈ કરી સરાજાહેર અભદ્ર વર્તન કરી બીજા દિવસે પણ આ જ સ્થળ પર નફ્ફટાઇ કરવા માટે હાજર જોવા મળતા પરિણીતાએ હિંમત કરી પોલીસ ફરિયાદ કરી હતી. રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડો.દર્શિતા શાહે જણાવ્યું હતું કે, તેમને મ્યુનિસિપલ કમિશનર સાથે આ બાબતે ચર્ચા કરી ઢીલા ઢફ જેવા તમામ સિક્યુરિટી ગાર્ડને ઘરભેગા કરી બગીચાની સુરક્ષાની જવાબદારી નિવૃત્ત આર્મીને સોંપવા સ્પષ્ટ સૂચના આપી છે.
લાખો લોકોએ વિજ્ઞાનના રહસ્યો જાણ્યા:રાજકોટ સાયન્સ સેન્ટરમાં 4.46 લાખ લોકોએ મુલાકાત લીધી
રાજકોટનું રીજનલ સાયન્સ સેન્ટર આજે નવી પેઢી માટે માત્ર એક જોવાલાયક સ્થળ નહીં, પણ વિજ્ઞાનને જીવંત અનુભવવાનું ‘કેન્દ્ર’ બની ગયું છે. 19 ઓક્ટોબર 2022ના રોજ લોકાર્પણ થયા બાદ અત્યાર સુધીમાં 3.46 લાખથી વધુ મુલાકાતીઓ અને 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ સહિતનાએ આ કેન્દ્રની મુલાકાત લઈને વિજ્ઞાનના રહસ્યો જાણ્યા છે. રાજકોટના માધાપર પાસે 10 એકરમાં ફેલાયેલું આ સેન્ટર હવે માત્ર સૌરાષ્ટ્ર પૂરતું મર્યાદિત નથી રહ્યું. અહીં જાપાન, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને યુરોપ જેવા દેશો સહિત ભારતના જમ્મુ-કાશ્મીરથી લઈને પશ્ચિમ બંગાળ સુધીના પ્રવાસીઓ વિજ્ઞાનની આધુનિક દુનિયા જોવા આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 2051 જેટલી શાળાઓના બાળકોએ અહીં ‘જુઓ-અનુભવો-શીખો’ના અભિગમ સાથે જ્ઞાન મેળવ્યું છે. મુલાકાતીઓ માટે અહીં વર્ચ્યુઅલ રિયાલિટી (VR), ઓગમેન્ટેડ રિયાલિટી (AR), 3D થિયેટર અને હોલોગ્રામ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે, દર રવિવારે ‘સુપર સન્ડે’ અંતર્ગત ફૂડ ટેસ્ટિંગ અને એસ્ટ્રોનોમી જેવા કાર્યક્રમો યોજાય છે.
શરીરની સખાવત:અમદાવાદમાં 30 સામે રાજકોટમાં 77 લોકોએ કર્યું ત્વચા દાન, 250 દર્દીને રાહતનો મલમ
આજના આધુનિક સમયમાં જનજાગૃતિના કારણે અંગદાનનું મહત્ત્વ વધ્યું છે. દેહદાનની સાથે સાથે બ્રેઇનડેડના કિસ્સામાં દર્દીના પરિવારજનો હૃદય, કિડની, આંખ અને લિવર સહિતના અંગોનું દાન કરી અન્ય લોકોને નવજીવન આપી રહ્યા છે. શરીરના અન્ય અંગોના જેમ ત્વચાનું પણ દાન કરી શકાતું હોય સેવાભાવી સંસ્થાઓ શરીરની સખાવતમાં ત્વચા દાન માટે જનજાગૃતિ લાવતા છેલ્લા બે વર્ષમાં ત્વચા દાનની સખાવતમાં રાજકોટ અમદાવાદથી મોખરે નીકળ્યું છે. અમદાવાદમાં બે વર્ષમાં 30 ત્વચા દાન સામે રાજકોટ સિવિલ હોસ્પિટલની સ્કિન બેન્કને 77 ત્વચા દાન મળ્યા છે. આ ત્વચા દાન થકી 250 દર્દીને નવજીવન મળ્યું છે. શરીરના કોઈપણ અંગની જેમ જ મૃત્યુ બાદ ત્વચા દાન કરી શકાય છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપિન્ટેન્ડેન્ટ ડો.મોનાલી માંકડિયા જણાવે છે કે, દાનમાં મળેલી ત્વચાથી દાઝી જવાના કિસ્સામાં દર્દીના શરીર પર ડ્રેસિંગ માટે ઉપયોગ કરવામાં આવે છે જેથી દાઝી ગયેલ દર્દીમાં પ્રોટીન, હીમોગ્લોબિનનો લોસ અટકાવી શકાય છે ઉપરાંત પેઈન રિલીફ માટે મહત્ત્વનું કામ કરે છે. રાજકોટ સિવિલમાં વર્ષ 2023માં સ્કિન બેન્કની શરૂઆત થઇ છે. છેલ્લા બે વર્ષમાં સ્કિન બેંકમાં ત્વચાના 77 દાન મળ્યા છે. દાનમાં મળેલી ત્વચાથી અત્યાર સુધીમાં અકસ્માત અને દાઝી જવાના કુલ 250 દર્દીની સારવાર કરવામાં આવી હોવાનું તેમને ઉમેર્યું હતું. મેચિંગની જરૂરત નહીં, કોઈપણ દર્દીઓમાં થઇ શકે ઉપયોગઅંગદાનમાં મળતા આંખ, કિડની, લીવર, હાર્ટ જેવા શરીરના જુદા-જુદા અવયવો લોહીના ગ્રૂપ સાથે મેચિંગ કર્યા બાદ જ અન્ય દર્દીમાં અંગનું પ્રત્યારોપણ કરવામાં આવતું હોય છે. જોકે દાનમાં મળેલી ત્વચાથી અન્ય દર્દીને સારવાર માટે મેચિંગની જરૂરત પડતી નથી. ડો.મોનાલી માંકડિયા જણાવે છે કે, ત્વચા કોઈપણ દર્દીને ઉપયોગમાં આવી શકે છે. મૃત્યુના 6 કલાક સુધીમાં ત્વચા દાન, ત્રણ વર્ષ સુધી ઉપયોગ થઇ શકેકોઈપણ વ્યક્તિના મૃત્યુ બાદ છ કલાકના સમયગાળામાં ત્વચાનું દાન કરી શકાતું હોવાનું જણાવી ડો.મોનાલી માંકડિયા ઉમેરે છે કે, ત્વચા દાનમાં મૃત વ્યક્તિના પીઠ, પગ અને મૃતકના પરિવારજનોની સંમતિથી હાથ સહિતના ભાગમાંથી પણ ત્વચા મેળવી સ્કિન બેંકમાં સાચવવામાં આવે છે.સામાન્ય રીતે ત્વચાના દાન બાદ આ ત્વચાનો ત્રણ વર્ષ સુધી સાચવી શકાતી હોવાનું અને ત્રણ વર્ષ સુધી ઉપયોગ કરી શકાય છે.
રાજકોટની હેડ પોસ્ટ ઓફિસ હવે ડિજિટલ અવતારમાં બેંક કરતા પણ અપગ્રેડ થઇ છે. પોસ્ટના 40 હજાર જેટલા બચત ખાતાધારકો માટે હવે બેંકિંગ વ્યવહાર એટલો સરળ બની ગયો છે કે તમારે પેન પકડવાની પણ જરૂર નહીં પડે. માત્ર એક બાયોમેટ્રિક સ્કેન (અંગૂઠાની છાપ)થી તમે તમારા ખાતામાં પૈસા જમા કરાવી શકશો કે ઉપાડી શકશો. બસ, કાઉન્ટર પર જઈને અંગૂઠો સ્કેન કરો અને સેકન્ડોમાં તમારા નાણાકીય વ્યવહાર પૂરા કરો. ઘણીવાર બેંકોમાં સહી ન મળવાને કારણે કે સ્લિપમાં વિગતો ખોટી ભરાવાને કારણે ધક્કા ખાવા પડતા હોય છે. રાજકોટ હેડ પોસ્ટ ઓફિસે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી દીધો છે. આધારકાર્ડ લિંક હોય તેવા ખાતાધારકો હવે ઈ-કેવાયસી (e-KYC) ના માધ્યમથી ફોર્મ ભર્યા વગર જ વ્યવહાર કરી શકે છે. ખાસ કરીને જે લોકો ભણેલા નથી અથવા જેમને સહી કરવામાં તકલીફ પડે છે, તેમના માટે આ ‘થમ્બ ઇમ્પ્રેશન’ સુવિધા આશીર્વાદ સમાન છે. જમાનો બદલાયો છે અને તેની સાથે આપણી જૂની અને જાણીતી પોસ્ટ ઓફિસ પણ હવે ‘હાઈટેક’ અવતારમાં સજ્જ થઈ ગઈ છે! જો તમે હજુ પણ એવું વિચારતા હોવ કે પોસ્ટ ઓફિસમાં પૈસા ઉપાડવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહીને પસીનો પાડવો પડશે તો એવું નહીં બને. રાજકોટની હેડ પોસ્ટ ઓફિસે બેંકોને પણ પાછળ છોડી દે તેવી સુવિધા શરૂ કરી છે, જ્યાં હવે કાગળ કે પેનની કોઈ જરૂર નથી. તમારો ‘અંગૂઠો’ જ તમારી બેંકની ચાવી છે. ભલે તે પેન્શનર હોય, વિદ્યાર્થી હોય કે પછી સામાન્ય બચત કરતો મધ્યમ વર્ગ દરેક માટે પોસ્ટ ઓફિસ હવે ‘યુઝર ફ્રેન્ડલી’ બની ગઈ છે. બિલ ભરવા, આધારકાર્ડ કે પાસપોર્ટ બધું એક સ્થળેપોસ્ટ માત્ર બેંકિંગ સુવિધા જ નહીં, પરંતુ કોઈને આધારકાર્ડ કઢાવવું હોય કે સુધારા કરવા હોય તે પણ ઉપલબ્ધ છે, પાસપોર્ટ સેવા કેન્દ્ર પણ પોસ્ટ ઓફિસમાં ચાલે છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) દ્વારા હવે વીજળી-પાણીના બિલ ભરવા, મોબાઈલ રિચાર્જ, વીમો લેવો કે લોન લેવી જેવી તમામ સુવિધાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ છે. ખેડૂતોને મળતી સબસિડી હોય કે વિદ્યાર્થીઓની સ્કોલરશિપ, બધું જ હવે સીધું પોસ્ટના ખાતામાં જમા થાય છે. પાર્સલ સેવા પણ હવે થઈ છે ‘સુપરફાસ્ટ’માત્ર બેંકિંગ જ નહીં, પણ ટપાલ વિભાગે પોતાની ડિલિવરી સિસ્ટમમાં પણ મોટો ફેરફાર કર્યો છે. અગાઉ રાજકોટમાં આવતા 400 જેટલા પાર્સલ પહેલા હેડ ઓફિસ અને પછી સબ-ઓફિસ થઈને ગ્રાહક સુધી પહોંચતા, જેમાં ઘણો સમય જતો હતો. હવે પોસ્ટ વિભાગે સ્પેશિયલ ડિલિવરી વાન વસાવી છે. પરિણામે, બહારગામથી આવેલું પાર્સલ હવે એ જ દિવસે સીધું ગ્રાહકના ઘર સુધી પહોંચાડી દેવામાં આવે છે. હવે પોસ્ટમેન જ બન્યા ‘એટીએમ’, ઘરે બેઠા મળશે પેન્શનરાજકોટના સિનિયર સિટીઝન્સ માટે પોસ્ટ વિભાગની સેવા સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. હવે વડીલોએ પેન્શનની રકમ ઉપાડવા માટે કાળઝાળ ગરમી કે ટ્રાફિક વચ્ચે પોસ્ટ ઓફિસના ધક્કા ખાવાની જરૂર નથી. રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ દ્વારા કાર્યરત આ સેવામાં, માત્ર એક ફોન કોલ કે રિક્વેસ્ટ પર પોસ્ટમેન સીધા વડીલોના ઘરે પહોંચે છે. આ સુવિધાની સૌથી મોટી ખાસિયત તેની બાયોમેટ્રિક સિસ્ટમ છે. વડીલોએ કોઈ ચેકબુક કે પાસબુક શોધવાની માથાકૂટ કરવાની રહેતી નથી. પોસ્ટમેન પાસે રહેલા મશીનમાં માત્ર અંગૂઠો સ્કેન કરતા જ પેન્શનની રકમ સ્થળ પર જ મળી જાય છે. એટલું જ નહીં, જો કોઈ વડીલને પોતાની બચતની રકમ ખાતામાં જમા કરાવવી હોય, તો પોસ્ટમેન ઘરેથી જ સુરક્ષિત રીતે નાણાં સ્વીકારી ડિજિટલ પહોંચ પણઆપે છે. રાજકોટના અનેક વિસ્તારોમાં એકલા રહેતા વૃદ્ધો માટે આ ટેક્નોલોજી અને વિશ્વાસનો અનોખો સંગમ છે, જે તેમના જીવનને વધુ સરળ અને સ્વાવલંબી બનાવે છે.
સિટી એન્કર:140 ચક્ષુદાતાના પરિવારનો રાજકોટમાં કરાયો ઋણ સ્વીકાર
જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાતભરમાં રક્તદાન, ચક્ષુદાન, સ્કિન ડોનેશન, દેહદાન તથા અંગદાન અંગે સેવાકાર્યો કરી રહી છે. આ તકે રાજકોટમાં રવિવારે અંગદાન, ચક્ષુદાન, દેહદાન ઋણ સ્વીકારવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચક્ષુદાતાનો પરિવાર, દેહદાન કરનારનો પરિવાર, સ્કિન ડોનેશન કરનારનો પરિવાર એકસાથે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં 140થી વધુ પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં સંસ્થા દ્વારા 140 ચક્ષુદાતા પરિવારનું સન્માન કરી શિલ્ડ અર્પણ કર્યા હતા તથા જેમના જીવનમાં ઉજાસ પથરાયો તેવા 8 લોકોએ ચક્ષુદાતાઓનો ઋણ સ્વીકાર કર્યો હતો અને પોતાના અનુભવો જણાવ્યા હતા. આ કાર્યક્રમમાં વિશેષ વાત તો એ હતી કે, જે લોકોને ઉંમર, બીમારી કે કોઇ પણ અકસ્માતના લીધે રોશની જતી રહી હોય કે ઓછું દેખાતું હોય તેવા 8 લોકોને નવી રોશની મળી તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના ચેરમેન ઉમેશ મહેતાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીના 820 ચક્ષુદાનમાં 465મું ચક્ષુદાન એવું હતું કે તે દીકરીની ઉંમર માત્ર સાડા ત્રણ વર્ષની હતી. લોકોને મળેલી નવી રોશનીના અનુભવો જણાવ્યા ડાયાબિટીસના કારણે 8 મહિનાથી ડાબી આંખની કોર્નિયામાં તકલીફ હતી ત્યારબાદ ઓક્ટોબર 2025માં કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ કરાવી અને નવી રોશની મળી. અત્યારે સંપૂર્ણપણે સ્પષ્ટ દેખાઇ છે. મને જેની દૃષ્ટિ મળી તેનો ખૂબ આભાર માનું છું કેમ કે, આ જીવનની ખૂબ અમૂલ્ય વસ્તુ છે. > મુકેશભાઇ દવે ગયા વર્ષે મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું, પરંતુ વિઝનમાં તકલીફ હતી. કીકીનું પહેલું પડ ખરાબ થઇ ગયું હોવાથી તબીબે તેને બદલવાની સલાહ આપી. કોઇ વ્યક્તિએ ચક્ષુદાન કરાવ્યું અને મને નવી રોશની મળી. 6 મહિનાથી જોવામાં કોઇ પ્રકારની તકલીફ નથી. તાજેતરમાં રાજકોટમાં રહેતા અમારા વેવાઇનું સાવરકુંડલા ખાતે મૃત્યુ થયું તેનું ત્યાં ચક્ષુદાન કરાવ્યું હતું. > લિપ્તીબેન ત્રિવેદી
કલ્પના કરો કે રાજકોટથી સવારે નિરાંતે ચા-નાસ્તો કરીને નીકળ્યા હોય અને હજુ તો છાપાના બે-ચાર પાના ઉથલાવો ત્યાં જ અમદાવાદનું પ્લેટફોર્મ આવી જાય! સૌરાષ્ટ્રના હૃદય સમાન રાજકોટ અને ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદ વચ્ચેના રેલવે પ્રવાસમાં હવે વર્ષો જૂની ‘ધીમી ગતિ’નો અંત આવવા જઈ રહ્યો છે. અત્યાર સુધી જે સફર 4 કલાકથી વધુ સમય અને ધીમી ગતિને કારણે કંટાળાજનક લાગતી હતી, તે હવે હાઈ-સ્પીડ ટ્રેક પર દોડતા રોમાંચમાં ફેરવાઈ જશે. રાજકોટ-અમદાવાદ વચ્ચે ડબલ ટ્રેકનું ભગીરથ કાર્ય પૂર્ણ થયા બાદ, હવે રેલવે તંત્ર દ્વારા ‘મિશન 130’ પર કામ કરવામાં આવી રહ્યું છે. આ માત્ર પાટા બદલવાની પ્રક્રિયા નથી, પરંતુ સૌરાષ્ટ્રના વિકાસને નવી ગતિ આપતો એક પ્રોજેક્ટ છે. આગામી થોડા જ મહિનામાં જ્યારે 130 કિ.મી.ની ઝડપે ટ્રેનનું એન્જિન આધુનિક ટ્રેક પર ગર્જના કરશે, ત્યારે રાજકોટથી અમદાવાદ પહોંચવાનું અંતર માત્ર અઢીથી પોણા ત્રણ કલાકમાં સમેટાઈ જશે. એટલે કે, મુસાફરોનો કિંમતી 1.15 કલાક જેટલો સમય બચશે. આ આધુનિકીકરણ માત્ર ઝડપ પૂરતું મર્યાદિત નથી, તે મુસાફરો માટે આરામદાયક મુસાફરી, નવી પ્રીમિયમ ટ્રેનની ભેટ અને સુરક્ષિત પ્રવાસનો અનુભવ પણ કરાવશે. રેલવેના નિષ્ણાતોના મતે, હવે રેલવે એન્જિન વધુ શક્તિશાળી અને હેવી બની રહ્યા છે. આ ભારેખમ એન્જિન 130 કિ.મી.ની સ્પીડે દોડે ત્યારે ટ્રેક તેને ખમી શકે તે માટે આગામી 40-50 વર્ષના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. રેલવે સામાન્ય રીતે 40 વર્ષના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ બનાવતા હોય છેરેલવે પણ સમયની સાથે અપગ્રેડ થઇ રહ્યું છે. રેલવે સામાન્ય રીતે આગામી 40થી 50 વર્ષના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેની યોજના અને પ્રોજેક્ટ બનાવતા હોય છે. રેલવેના નવા એન્જિન હવે વધુ હેવી એટલે કે વજનવાળા અને ઝડપથી દોડાવી શકાય તેવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે ત્યારે આવા હેવી એન્જિનને ખમી શકે અને સ્પીડમાં દોડાવી શકાય તેના માટે રેલવે નેટવર્કમાં મોટા પાયે બદલાવ કરવામાં આવી રહ્યા છે. એન્જિન હવે હેવી અને હાઈટેક બન્યા, તેને અનુરૂપ ટ્રેક પણ બનાવાયારેલવેના નવા યુગમાં એન્જિન હવે વધુ હાઈ-ટેક અને વજનદાર (હેવી) બની રહ્યા છે. જૂના પાટા આ હાઈ-સ્પીડ અને લોડને સહન કરવા માટે સક્ષમ ન હોવાથી સમગ્ર નેટવર્કને અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. આ નવા ટ્રેક મુસાફરીમાં સ્થિરતા અને સલામતી પણ આપશે. રાજકોટ-અમદાવાદ વચ્ચે પણ હેવી પાટા બિછાવવામાં આવ્યા છે જેના ઉપર હેવી એન્જિન ઝડપથી દોડશે. ઓટોમેટિક સિગ્નલિંગ: ન અટકે, ન અટવાયસ્પીડની સાથે સુરક્ષામાં પણ ઉછાળો આવશે. નવા ટ્રેક સાથે ઓટોમેટિક સિગ્નલ વ્યવસ્થા કાર્યરત કરાશે. આ ટેક્નોલોજીને કારણે ટ્રેન વચ્ચેનું અંતર સુરક્ષિત જળવાશે અને વારંવાર ઊભા રહેવાની (અવરોધની) જરૂર નહીં પડે. સિગ્નલ ઓટોમેટિક હોવાથી માનવીય ભૂલની શક્યતા ઘટશે અને ટ્રેન પોતાની ગતિ જાળવી શકશે. ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થઇ ગઈ હોવાથી હવે ક્રોસિંગની સમસ્યા ભૂતકાળ બની છે.
હજીરામાં થયેલી તોડફોડનો મામલો:જેમણે પોલીસને પથ્થર માર્યા, તેમના ઘરે જઈને પોલીસે રાશનકીટ્સ આપી
AM/NSમાં તાજેતરની ઘટના બાદ સુરત શહેર પોલીસે હજીરા વિસ્તારમાં કોમ્બિંગ વધુ તીવ્ર બનાવ્યું છે. અત્યારસુધીમાં કુલ 65 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમ પોલીસ 50 ઓળખાયેલા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર નજર રાખી રહી છે. આ એકાઉન્ટ્સના વાસ્તવિક સંચાલકોને ઓળખવા માટે ટેકનિકલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે હજીરા વસાહતોમાં પગપાળા કૂચ કરી હતી. કામગીરી દરમિયાન, કંપનીના કર્મચારીઓ સાથે પોલીસ અધિકારીઓએ કામદારો સાથે મુલાકાત કરી અને રાશન કીટનું વિતરણ કર્યું હતું. પોલીસે કામદારોને સમજાવ્યું કે ‘પોલીસ તમારા દુશ્મન નહીં, પણ તમારા મિત્રો છે’ અને શાંતિ જાળવવામાં સહયોગ આપવા અપીલ કરી હતી. પોલીસે કંપની મેનેજમેન્ટ સાથે સંકલન કરીને કામદારોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે પહેલ શરૂ કરી છે. કામદારોએ આ પહેલનું તાળીઓના ગડગડાટથી સ્વાગત કર્યું હતું. બે દિવસથી પરિસ્થિતિ નિયંત્રણમાંહજીરા પોલીસ ઇન્સ્પેક્ટર એ.સી. ગોહિલે જણાવ્યું હતું કે બે દિવસથી પરિસ્થિતિ નિયંત્રણમાં છે. કોમ્બિંગ ઓપરેશન, ફ્લેગ માર્ચ અને કોલોની મુલાકાતો ચાલી રહી છે. અત્યાર સુધીમાં વિવિધ કોલોનીના 10,000થી વધુ લોકોની મુલાકાત લેવામાં આવી છે. હજીરામાં આગચંપી બાદ પોલીસ 12 કલાકની શિફ્ટમાં કામગીરી કરી રહી છે. આમાં એક ડીસીપી, પાંચ એસીપી, 15 પીઆઈ, 20 પીએસઆઈ અને 200 અન્ય પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે.

30 C