SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

26    C
... ...View News by News Source

પોલીસે ગુનો કબૂલ કરાવી ડ્રાઇવરને ઊઠ-બેસ કરાવી:જેસીબીમાં શ્રમિકોને બેસાડી સવારી કરાવનાર ડ્રાઈવરની ધરપકડ કરાઇ

ખોડીયારનગર વિસ્તારમાં જેસીબીમાં સંખ્યાબંધ શ્રમિકોને બેસાડી જોખમી સવારીનો વીડિયો વાઇરલ થયો હતો. હરણી પોલીસે ગુનો નોંધીને આરોપી ડ્રાઇવરની ધરપકડ કરી છે. પોલીસે આરોપીને પોલીસ સ્ટેશનમાં કાન પકડાવીને ઉઠકબેઠક કરાવી હતી અને ત્યારબાદ આરોપીએ કાન પકડીને માફી માગી હતી. વડોદરા શહેરના ખોડિયારનગર ચાર રસ્તાથી દરજીપૂરા હાઈવે તરફ જવાના માર્ગે પસાર થઈ રહેલા એક જેસીબીમાં આગળ અને પાછળ સંખ્યાબંધ શ્રમિકોને બેસાડી જોખમી સવારી કરવામાં આવી રહી હતી. જેનો વીડિયો નજીકમાંથી પસાર થતા એક જાગૃત નાગરિકે ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. આ મામલે ટ્રાફિક પોલીસના હેડ કોસ્ટેબલે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ હરણી પોલીસ દ્વારા આરોપી મુમતાજ હકીમમિયા આલમ (રહે. એરફોર્સ બ્રીજ પાસે, વડોદરા, મુળ રહે- કોદરકટ, બનકટવા, પૂર્વી ચંપારણ, બિહાર)ની ધરપકડ કરવામાં આવી હતી અને તેને ઉઠબેસ કરાવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 6:29 am

નો-પાર્કિંગમાં, બિનવારસી પડેલાં વાહનો હટાવ્યાં:નાગરવાડા-સલાટવાડા રોડ પરના દબાણ હટ્યાં,84 ઈ-ચલણ આપ્યાં

શહેરમાં ટ્રાફિક સુચારૂ રીતે ચાલે તે માટે દબાણો દુર કરવા માટે પોલીસ કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યાં હતાં. જેના ભાગરૂપે ગુરૂવારના રોજ પૂર્વ ટ્રાફિક શાખા અને કારેલીબાગ પોલીસની સંયુક્ત ટીમ દ્વારા કારેલીબાગ પોલીસ સ્ટેશનથી નાગરવાડા ચાર રસ્તા, બહુચરાજી રોડ, સલાટવાડા રોડ ઉપર નો-પાર્કિંગ, બિનવારસી પડી રહેલા વાહનો અને જાહેરનામા અનુસંધાને દબાણ હટાવવાની સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 84 લોકોને ઈ-ચલણ ફટકારવામાં આવ્યા હતાં. જ્યારે 1 કાર અને 8 ટુ-વ્હિલર ટોઈંગ કરવામાં આવ્યાં હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, શહેરના વિવિધ વિસ્તારોમાં છડેચોક મુખ્ય માર્ગો પર દબાણો કરી દેવામાં આવે છે. મુખ્ય માર્ગોનો મોટો ભાગ દબાણ થવાથી ટૂંકો થાય છે ત્યારે ટ્રાફિક શાખા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે. જ્યારે જ્યાં જરૂર પડે પાલિકા પણ જોડાશે.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 6:28 am

ભાસ્કર ઈનસાઈડ:કુંઢેલાની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં એક જ વિદ્યાર્થીને 30થી વધુ વિદ્યાર્થીઓએ માર માર્યો

કુંઢેલા સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પ્રજાસત્તાક દિનની રાત્રે પ્રથમ વર્ષના વિદ્યાર્થી સાથે મારામારીની ઘટના બહાર આવી છે. રૂમની બહાર 30થી વધુ વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થી પર હુમલો કરતાં કાયદેસરના પગલાની પ્રદેશ કોંગ્રેસે માંગ કરી હતી. અમદાવાદના રાજીવ ગાંધી ભવનમાં પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું કે, કુંઢેલા સ્થિત સેન્ટ્રલ યુનિ.માં વિદ્યાર્થીઓ સુરક્ષિત નથી? પ્રથમ વર્ષના વિદ્યાર્થીને માર મારી જાતિ વિષયક શબ્દો બોલીને અપમાનીત કરવામાં આવ્યો હતો. મૂળ હરિયાણાનો વતની પરિવાર રાજસ્થાનના અલવરમાં સ્થાયી છે. જેનો દીકરો રાજકરનસિંઘ બી.એ.ના પ્રથમ વર્ષમાં ભણે છે અને સાબરમતી હોસ્ટેલમાં રહે છે. 26 જાન્યુઆરીએ રાત્રે 11 વાગ્યે તેના રૂમ બહાર 30થી વધુ વિદ્યાર્થીઓએ હુમલો કરીને મારપીટ કરી હતી. સિનિયરોએ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીને જાતિ સૂચક શબ્દો બોલી સ્વમાનને ઠેસ પહોંચે તેમ અપમાનિત કર્યો હતો. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીને સિક્યુરિટી ગાર્ડ્સ, કેર ટેકરની સમક્ષ મારપીટ થઈ જાતિ સૂચક અપશબ્દો બોલાયા છતાં આરોપી વિદ્યાર્થીઓ વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. પીડીત વિદ્યાર્થી રાજકરનસિંઘે પોતાની આપવીતી જણાવતા કેવી રીતે પોતાને અપમાનિત કરવામાં આવ્યો, મારઝૂડ કરવામાં આવી અને જાતિ સૂચક અપશબ્દો બોલવામાં આવ્યા હતા, કયા વિદ્યાર્થીઓની ભૂમિકા હતી તેની તેની માહિતી આપી હતી. તપાસ સમિતિની રચના કરવામાં આવી છેઘટનાની માહિતી મળ્યા પછી તરત જ એક તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. આ મામલો વિદ્યાર્થી વિવાદનો છે. જો તપાસમાં જાણવા મળે કે કેસ એસસી-એસટી શ્રેણીમાં આવે છે. તો તેના નિયમો અનુસાર આગળની કાર્યવાહી માટે એસસી-એસટી સેલને મોકલવામાં આવશે. > પ્રો. અતનુ ભટ્ટાચાર્ય, ઈન્ચાર્જ વીસી, સેન્ટ્રલ યુનિ. ફરિયાદી વિદ્યાર્થીની આરોપીની જેમ પૂછપરછનો આક્ષેપજે વિદ્યાર્થી પર હૂમલો કરવામાં આવ્યો હતો તે વિદ્યાર્થીએ ફરીયાદ કર્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવી હતી. જોકે તે આરોપી હોય તે પ્રકારે પૂછપરછ કરાઇ હતી. એન્ટી રેગીંગ હેલ્પલાઈનમાં ફરિયાદ કરવામાં આવી છતાં પગલા લેવામાં આવ્યા નથી. એક અઠવાડિયાથી વધુ સમય થયો છતાં હૂમલાખોર વિદ્યાર્થીઓ સામે પગલાં લેવામાં આવ્યા નથી. હોસ્ટેલમાં સીસીટીવી હોવા છતાં યુનિવર્સિટી પગલાં લેવામાં વિલંબ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 6:28 am

પોલીસ ફરિયાદ:જાણીતી ફાર્મા કંપનીના માલિક સામે વિદેશી યુવતીના શોષણનો આરોપ,10મીએ વડોદરા કોર્ટમાં સુનાવણી

30થી 35 વિદેશી યુવતીઓને શારીરિક શોષણ માટે અમદાવાદ લવાઇ હોવાના મામલા અંગે વડોદરા ચીફ મેજિસ્ટ્રેટ કોર્ટમાં FIR નોંધાવવા માટે કોર્ટમાં વ્હિસલ બ્લોઅરે દાવો દાખલ કર્યો છે. દેશની મોટી ફાર્મા કંપનીના માલિકે અને પુત્રે માનવ તસ્કરી રેકેટ ચલાવ્યું હોવાના પુરાવા કોર્ટમાં રજૂ કરાયા છે. વડોદરા કોર્ટે વેરીફેકિશન પૂર્ણ કરી લીધું છે. હવે વધુ સુનાવણી 9માં એડી. ચિફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી.એમ.મહિડાની કોર્ટમાં 10 ફેબ્રુઆરીએ થશે. આ હ્યુમન ટ્રાફિકિંગ મામલામાં વ્હિસલ બ્લોઅરે ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસર ચંદ્રમણિ ત્રિવેન્દ્રમ, કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન રાજીવ ઇન્દ્રવદન મોદી તેમજ ડિરેક્ટર રાજીવ રાજીવ મોદી, લાંચની હેરફેર અને રૂટિંગનું આયોજન કરનારા કંપનીના સલાહકાર સૌરભ ભાસ્કર ઉપર વિદેશી યુવતીઓની આંતરરાષ્ટ્રીય હેરફેરનો ગંભીર આરોપ લગાવ્યો છે. વડોદરા કોર્ટમાં FIR નોંધવા નિર્દેશ આપવાની પણ માંગ કરી છે. કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલી ફરિયાદમાં ભોગ બનેલી વિદેશી યુવતીઓને દર મહિને 9 લાખથી 11 લાખ રૂપિયાનો પગાર અપાતો હતો. યુવતીઓને કંપનીના માલિકના મહેલ કે મિલકતમાં હોય ત્યારે ટૂંકા વસ્ત્રો પહેરવા ફરજ પડાતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. વડોદરાની ચીફ મેજી. કોર્ટે આ મામલો 9માં એડીશનલ મેજિસ્ટ્રેટ બી.એમ.મહિડાની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. જ્યાં પ્રાથમિક સુનાવણીમાં વેરિફિકેશન પૂર્ણ કરીને વધુ સુનાવણી હવે આગામી 10 ફેબ્રુઆરીના રોજ યોજવામાં આવનાર છે. યુવતીઓને ખોરાકમાં ગર્ભનિરોધક દવાઓ અપાતી હોવાનો આક્ષેપવિદેશી ભોગ બનેલી યુવતીઓએ વ્હિસલ બ્લોવર પાસે મદદ માંગી જણાવ્યું હતું કે, ખોરાકમાં ગર્ભનિરોધક દવા ભેળવાતી હતી. તેમનું જીવન સંપૂર્ણપણે કંપનીની રિજન્સી નામની એજન્સીના નિયંત્રણમાં હતું. તેઓને બિઝનેસ વિઝા પર ભારત લવાઇ હતી અને કેડિલા કંપનીમાં નોકરી અપાઇ હતી. જે ગેરકાયદેસર છે. આમાંથી કોઈ પણ યુવતી ક્યારેય કંપનીની ઓફિસમાં હાજર રહેતી ન હતી. પીએમઓમાં પણ ફરિયાદ કરી હતીવ્હિસલ બ્લોઅરે પ્રધાનમંત્રી કાર્યાલયને ફરિયાદો મોકલી હતી, પીએમઓએ વડોદરા પોલીસ કમિશનરને કાર્યવાહીનો નિર્દેશ આપ્યો હતો. જેની તપાસ ગોત્રી પોલીસ મથકે કરી ફરિયાદીનું નિવેદન લેવાયું હતું.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 6:27 am

કમિટી મેમ્બરે મેસેજમાં ધમકી આપી હતી કે, આજે પતાવી દઈએ:કાર પાર્કિંગને લઇને કમિટી મેમ્બરે રહીશ પર ચપ્પા દ્વારા હુમલો કર્યો

તરસાલી વિસ્તારમાં ફ્લેટમાં પાર્કિંગ બાબતે ફ્લેટના કમીટી મેમ્બરે રહિશ પણ ચપ્પા દ્વારા હુમલો કર્યો હતો. જેમાં રહિશ ઈજાગ્રસ્ત થતાં તેઓને સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટના બાબતે રહિશે મકરપુરા પોલીસમાં કમિટી મેમ્બરની સામે ફરિયાદ નોંધાવી હતી. તરસાલીમાં આવેલા સમૃદ્ધી આનંદમના ડી ટાવરના ચોથા માળ પર નિરવ પટેલ રહે છે અને તે જંબુસર ખાતે ખાનગી કંપનીમાં પ્રોગ્રામર તરીકે નોકરી કરે છે. તેઓને ફ્લેટમાં પાર્કિંગ માટે રૂપિયા ભરીને કાર પાર્કિંગ લીધું હતું. ગુરુવારે તેમની પાર્કિંગની જગ્યા પર કોઈ અન્ય કાર પાર્ક કરેલી હતી. જેથી તેઓએ તેનો ફોટો લઈને કમિટી મેમ્બર વિવેક પરમારને મોકલ્યો હતો અને કાર હટાવડાવવા માટે કહ્યું હતું. જેનો વિવેકે રીપ્લાય આપ્યો હતો કે, શું કરવું છે આજે પતાવી દઈએ. જેના થોડા સમય બાદ નિરવના ઘરનો ડોર બેલ વાગાત તેઓ દરવાજો ખોલવા માટે ગયા હતા ત્યારે દરવાજાની બહાર વિવેક ઊભો હતો અને તેણે એકાએક ચપ્પા દ્વારા નિરવભાઈ પર હુમલો કર્યો હતો. જેથી પાડોશી આવી ગયા હતા અને નિવરભાઈને છોડાવ્યા હતા. ફ્લેટના અન્ય સભ્યો આવી જતા વિવેક ત્યાંથી ફરાર થયો હતો. નિરવભાઈની પત્ની, વિવેકમાં પાર્કિંગને લઈને ઝઘડોબુધવારે પણ નિરવભાઈની પત્ની અને વિવેક વચ્ચે પાર્કિંગને લઈને ફ્લેટના સોશિયલ મીડિયા ગ્રુપમાં ઝઘડો થયો હતો. જેમાં વિવેકે નિરવભાઈની પત્નીને ગમેતેમ શબ્દો કહ્યા હતા. શુક્રવારે ઘટના બાદ તેણે તેની તમામ ચેટ ડિલીટ કરી દિધી હતી, અને નિરવભાઈની પત્નીને ચેટ રહેવા દીધી હતી.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 6:25 am

પાલિકા ચૂંટણીની તૈયારી:કાર્યકરો સમક્ષ 6 હજાર ઇવીએમની ચકાસણી કરાઇ

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ચૂંટણી શાખા દ્વારા સિંધવાઈ માતા રોડ સ્થિત વોર્ડ નંબર 17 ની કચેરીએ ઈવીએમ મશીનની ચકાસણી કરવામાં આવી હતી. રાજકીય પક્ષના કાર્યકરોની હાજરીમાં ઇબીએમ બનાવતી કંપનીના એન્જિનિયરોએ મશીનની પહેલા સ્તરે ચકાસણી કરાઈ હતી. રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણીની ગમે તે ક્ષણે જાહેરાત થઈ શકે છે. જેને ધ્યાનમાં રાખી પાલિકાની ચૂંટણી શાખાએ ગુરુવારે શહેરના સિંધવાઈ માતા રોડ સ્થિત વડ કચેરીએ ઇવીએમ મશીનની ચકાસણી કરી હતી. ઇવીએમ બનાવતી કંપનીના એન્જિનિયરો અંદાજિત 6,000 જેટલા મશીનોની ચકાસણી કરી હતી. સામાન્ય રીતે મશીનો દર ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતા હોય છે. ડેપ્યુટી કમિશનર વીએમ રાજપૂતે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય પક્ષોના કાર્યકરોની હાજરીમાં 6000 મશીનના ઈયુ અને બીયુની ચકાસણી કરવામાં આવી હતી. પાંચ વર્ષ અગાઉ થયેલી ચૂંટણી અને તે પૂર્વેના મશીનો ચૂંટણી માટે ઉપયોગમાં લઈ શકાય તેવા છે કે કેમ તેની ચકાસણી કરી હતી. હવે પછી ઉમેદવારોની હાજરીમાં બી.એલ.ઓ મશીનની ચકાસણી કરશે.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 6:25 am

છેતરપિંડી:ડિજિટલ મીડિયા કંપનીના એકાઉન્ટન્ટનું કારસ્તાન, ખોટી સહી કરી રૂા.34.83 લાખ ટ્રાન્સફર કરી લીધા

અકોટાની ડિજિટલ મીડિયા કંપનીના એકાઉન્ટન્ટે ખોટી સહીઓ કરીને 11 ચેક દ્વારા કુલ રૂા.34.83 લાખ બીજી કંપનીને મોકલી દઈને ઠગાઈ કરી હતી. ઘટના અંગે જે.પી.રોડ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. અલકાપુરીની બરોડા પીપલ હાઉસિંગ સોસાયટી ખાતે રહેતા જયેશ પંડ્યા અકોટાની સિટી સાંઈ સ્ટાર ડિજિટલ મીડિયા પ્રા.લિ. કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર છે. તેમની કંપની લોકોના ઘરે કેબલ પ્રસારણ માટેનું કામ કરે છે. વર્ષ 2017માં કંપનીમાં ઓડિશા જગતસિંહધાપુરના સચીન નંદના બીકારેલ રાઉટેને એકાઉન્ટન્ટ તરીકે નોકરીએ રખાયો હતો. વર્ષ 2023માં સચીનનું ઓફિસમાં વર્તન યોગ્ય રહ્યું નહોતું. કંપનીએ તેની સાથે વાત કરી હતી અને સચીન પોતે સ્વૈચ્છિક રાજીનામું આપીને નોકરી છોડીને જતો રહ્યો હતો. દરમિયાન જયેશ પંડ્યાની કંપનીએ બેનેટ કોલોમલ કંપની સાથે ચેનલ પ્રસારણનો કરાર કર્યો હતો. જોકે બેનેટ કોલોમલે હિસાબી ગેરસમજને કારણે પ્રસારણ બંધ કરી દીધું હતું. ત્યાં શું ગેરસમજ થઈ છે, તે જાણવા માટે જયેશ પંડ્યાની કંપનીમાં બેનેટ કોલોમલ કંપનીને એડવાન્સમાં પેમેન્ટ આપવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કમ્પ્યૂટરની ટેલિ સીટ સચીન રાઉટે દ્વારા બનાવવામાં આવી હતી. બીજી બાજુ બેનેટ કોલોમલ કંપનીએ કહ્યું હતું કે, તેમને કોઈ પેમેન્ટ મળ્યું નથી. જેથી તપાસ કરતાં સિટી સાંઈ સ્ટાર ડિજિટલ મીડિયા પ્રા.લિ. કંપનીના કુલ 11 ચેકથી સાંઈ કેબલ ટીવી એન્ડ સર્વિસના ખાતામાં રૂા.34.83 લાખ ટ્રાન્સફર થયા હતા. જ્યારે જયેશ પંડ્યાની કંપની દ્વારા તે પેમેન્ટ જ ન કરાયું હોવાનું જાણવા મળ્યું હતું. સચીન રાઉટે દ્વારા ખોટી રીતે સહીઓ કરીને છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું હતું. જે.પી.રોડ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. 2023માં નોકરી છોડ્યા બાદ એકાઉન્ટન્ટ 2025માં ફરી જોડાયોત્યારબાદ પૂજા ગાવડે મુખ્ય એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતાં હતાં. જોકે થોડા સમય બાદ પૂજાએ પણ નોકરી છોડી દીધી હતી અને વર્ષ 2025માં સચીન ફરી નોકરીએ જોડાયો હતો. જોકે સચીનનું વર્તન યોગ્ય ન હોવાથી તેને ફરી વખત નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 6:22 am

વારસો:મ.સ.યુનિ.ના આર્કિયોલોજીમાં રહેલાં ભગવાન બુદ્ધનાં અસ્થિ શ્રીલંકામાં જાહેર દર્શનમાં મૂકાયાં

મ.સ.યુનિ.ની આર્ટસ ફેકલ્ટીના આર્કિયોલોજી વિભાગમાં સ્થિત ભગવાન બુધ્ધનાં અસ્થિ શ્રીલંકા પહોંચ્યાં છે. કોલંબોના ગંગારામાયા મંદિરમાં અસ્થિ દર્શન માટે મૂકવામાં આવ્યા છે. ગુજરાતના રાજ્યપાલ, નાયબ મુખ્યમંત્રી અને ભારતીય પ્રતિનિધિમંડળ અવશેષો સાથે શ્રીલંકા પહોંચ્યું હતું. શ્રીલંકામાં ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો ભારતીય વાયુસેનાના ખાસ વિમાનમાં શ્રીલંકા પહોંચ્યા હતા. જયાં ભારત-શ્રીલંકા પ્રોટોકોલ અનુસાર પૂર્ણ રાજ્ય સન્માન આપવામાં આવ્યું હતું. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ભારતીય પ્રતિનિધિમંડળ અવશેષો સાથે ગયું હતું. બૌદ્ધ સાધુઓ, સરકારી અધિકારીઓ અને અન્ય મહાનુભાવો પણ હતા. આ દર્શન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એપ્રિલ 2025ની શ્રીલંકા મુલાકાત દરમિયાન કરવામાં આવેલી ઘોષણા બાદ થયા છે. તેમણે શ્રીલંકા સાથે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બનાવવાની ભારતની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. પવિત્ર દેવનીમોરી અવશેષોના દર્શનનું ઉદ્ઘાટન 4 ફેબ્રુઆરી, 2026એ કોલંબોના ગંગારામાયા મંદિરમાં શ્રીલંકાના મહામહિમ રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે દ્વારા શ્રીલંકા તરફથી ગંગારામાયા મંદિરના મુખ્ય મઠાધિપતિ પૂજનીય ડૉ.કિરીંડે અસાજી થેરો અને ભારતીય તરફથી ગુજરાતના રાજ્યપાલ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ગંગારામાયા મંદિરમાં પિપ્રાહવાના પવિત્ર અવશેષોની શોધ અને પવિત્ર અવશેષો અને સમકાલીન ભારતની સાંસ્કૃતિક ભાગીદારી નામના બે પ્રદર્શનોનું પણ ઉદ્ઘાટન કરાયું હતું. અવશેષોનું પરંપરાગત ધાર્મિક વિધિથી સ્વાગત કરાયું હતું અને ગંગારામાયા મંદિરમાં સ્થાપિત કરાયા હતાં. દર્શન 5 ફેબ્રુઆરી, 2026થી ખુલ્લાં રહેશે, પવિત્ર અવશેષોનું શ્રીલંકામાં આગમન 78માં સ્વતંત્રતા દિવસે થયું હતું. ભારતે 2012માં કપિલવસ્તુ અવશેષોનું પ્રદર્શન યોજ્યું હતુંભારતે 2012માં કપિલવસ્તુ અવશેષો અને 2018માં શ્રીલંકામાં સારનાથ અવશેષોનું પ્રદર્શન યોજ્યું હતું. દેવનીમોરી અવશેષોનું પ્રદર્શન ભગવાન બુદ્ધના કરુણા, શાંતિ અને અહિંસાના ઉપદેશોનો જીવંત પુરાવો છે. જે બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક, આધ્યાત્મિક સંબંધોને વધુ મજબૂત બનાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એપ્રિલ-2025માં શ્રીલંકાની મુલાકાતમાં ગ્રાન્ટની જાહેરાત કરાઇ હતીપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એપ્રિલ 2025માં શ્રીલંકાની મુલાકાતમાં બૌદ્ધ સંબંધોને પ્રોત્સાહન આપવા માટે 2020માં જાહેર કરાયેલા 15 મિલિયન યુએસ ડોલરની ગ્રાન્ટ ઉપરાંત અનુરાધાપુરામાં પવિત્ર શહેર સંકુલ પ્રોજેક્ટના વિકાસ માટે ગ્રાન્ટ સહાયની પણ જાહેરાત કરી હતી.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 6:20 am

સિટી એન્કર:ઓન લાઇન ગેમની રવાડે ચઢેલા પતિએ 6 લાખનું દેવું કર્યું, પત્નીએ સીવણ ક્લાસ શરૂ કરતાં શંકા કરીને કહ્યું, ઘરમાં સીસીટીવી લગાવીશ

શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા યુવકે 6 લાખ રૂપિયા તીન પત્તી ગેમમાં ગુમાવી દેતાં તેના પર દેવું થઈ ગયું હતું. જોકે તે દેવાની ભરપાઈ પણ નહોતો કરતો. જેથી તેની પત્નીએ સીવણ ક્લાસ શરૂ કર્યા હતા. જેથી પતિએ પત્ની પર શંકા રાખીને ઘરમાં સીસીટીવી લગાવવાની ધમકી આપી હતી. આખરે કંટાળેલી પત્નીએ અભયમને આ વિશે જાણ કરીને મદદ માગી હતી. જેથી ટીમ ઘરે પહોંચી હતી અને પતિનું કાઉન્સેલિંગ કરીને દંપતી વચ્ચે સમાધાન કરાવ્યું હતું અને પતિને સીસીટીવી કેમેરા લગાવતા રોક્યા હતા. તરસાલી વિસ્તારમાં રહેતા દંપતીને લગ્નમાં 12 વર્ષ બાદ ઓનલાઈન ગેમને લીધે વિક્ષેપ પડ્યો હતો. પતિ છેલ્લા 2 મહિનાથી ઓનલાઈન તીન પત્તી ગેમ રમવાની લતે ચડ્યો હતો. જેને કારણે તેના પર રૂા.6 લાખનું દેવું થઈ ગયું હતું. આ ઉપરાંત તે નશો કરીને પત્ની સાથે ઝઘડો કરતો હતો. જેથી પતિને સમજાવવા માટે પત્નીએ જેઠ-જેઠાણીને બોલાવ્યાં હતાં. તે સમયે પતિએ પત્ની સામે આક્ષેપ કર્યા હતા કે, તારું ચક્કર મારા ભાઈ સાથે ચાલે છે. તેણે જેઠાણીને પણ અપમાનિત કર્યાં હતાં. બીજી તરફ દેવાની ભરપાઈ કરવા માટે પત્નીએ સીવણ કામ શીખવાની શરૂઆત કરી હતી. દરમિયાન બુધવારે જ્યારે પત્ની ક્લાસમાં ગઈ ત્યારે પતિએ કોલ કરીને જણાવ્યું હતું કે, હું ઘરમાં સીસીટીવી કેમેરા લગાવી દઉં છું, જેથી તું શું કરે છે અને ક્યાં મોંઢું કાળું કરવા જાય છે તે હું જોઉં છું. જેથી મહિલાએ પોતાની સમસ્યા અભયમને જણાવતાં ટીમ મહિલાના ઘરે પહોંચી હતી. અભયમને ટીમે પતિને કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે તેમ કહી કડક તાકીદ કરી હતી. જો પત્ની સાથે જો આવો અત્યાચાર અને હિંસા કરવામાં આવશે તો ઘરેલુ હિંસા અંતર્ગત કાર્યવાહી કરી શકાશે. આખરે પતિએ પોતાની ભૂલ સ્વીકારતાં મામલો થાળે પડ્યો હતો. પતિ કંપનીમાં ટેક્સી ડ્રાઈવર તરીકે નોકરી કરે છેમહિલાનો પતિ ખાનગી કંપનીની ટેક્સીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે અને તેનો પગાર પણ સારો છે. જોકે તે 4 દિવસથી નોકરીએ જતો નહોતો અને પત્નીને ધમકાવતો હતો કે, હું તને સાચવવાનો નથી અને તું ઘરમાંથી નીકળી જા. દેવું થઈ ગયું હોવા છતાં પણ તે ગેમ રમીને રૂપિયા ઉડાવ્યા કરતો હતો.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 6:19 am

ભાસ્કર એક્સક્લૂઝિવ:અમદાવાદ પછી વડોદરા: 100 કરોડમાં શહેરનો ‘ડિજિટલ ટ્વિન’ તૈયાર કરશે

શહેરના સંચાલનમાં મોટા ફેરફાર લાવવા માટે પાલિકા ડિજિટલ ટ્વિન (રેપ્લિકા ઓફ સિટી) પ્રોજેક્ટ અમલમાં મૂકવાની તૈયારીમાં છે. આ પ્રોજેક્ટ હેઠળ શહેરનું સંપૂર્ણ વર્ચ્યુઅલ 3D મોડલ તૈયાર કરશે. જેમાં જમીન ઉપર અને જમીન નીચેની તમામ વ્યવસ્થા રિયલ-ટાઇમ ડેટા સાથે જોડાશે. ડિજિટલ ટ્વિનનો ઉપયોગ કરીને પાલિકા કોઈ પણ કામ શરૂ કરતા પહેલાં તેની અસર શું પડશે, ટ્રાફિક પર શું અસર થશે, પાણી કે ડ્રેનેજ લાઈનમાં તકલીફ ઊભી થશે કે નહીં તેનું સિમ્યુલેશન કરી શકશે. વરસાદ દરમિયાન પૂર જેવી સ્થિતિથી કયા વિસ્તાર જોખમમાં છે, ક્યાં પાણી ભરાશે અને કેવા પ્રકારનાં તાત્કાલિક પગલાં લેવાનાં છે તેની પણ પ્રોજેક્ટ મારફતે જાણકારી મેળવી શકાશે. સિંગાપોર અને બાર્સેલોના જેવાં સ્માર્ટ શહેરોમાં આ ટેક્નોલોજી સફળતાપૂર્વક વપરાઈ રહી છે. ગુજરાતમાં અમદાવાદ પછી હવે વડોદરામાં આ પ્રોજેક્ટ અમલમાં આવશે, જેની પાછળ 100 કરોડનો ખર્ચ થવાનો અંદાજ મુકાયો છે. ડિજિટલ ટ્વિન પ્રોજેક્ટ માત્ર ટેક્નોલોજી નહીં, પરંતુ ભવિષ્યની સ્માર્ટ ગવર્નન્સ માટે પણ ઉપયોગી બનશે. ડિજિટલ ટ્વિનથી એનર્જી કન્ઝર્વેશન કેવી રીતે થશે?વીજ વપરાશ મોનિટરિંગ શહેરના ઝોન-વિભાગ મુજબ વીજ વપરાશના લાઈવ ડેટા મળતાં વધુ વપરાશવાળા વિસ્તારો ઓળખી તેના પર નિયંત્રણ શક્ય બનશે. સ્માર્ટ સ્ટ્રીટ લાઇટિંગ ટ્રાફિક અને વાહનોની અવર-જવર પ્રમાણે લાઇટ ઓટો-ડીમ/ઓન થવાથી વીજ ખર્ચ અટકશે. બિલ્ડિંગ એનર્જી એનાલિસીસ: સરકારી ઇમારતોમાં ઊર્જા વપરાશનું સિમ્યુલેશન કરી એનર્જી-એફિશિયન્ટ ડિઝાઇન, રેટ્રોફિટિંગ કરી શકાશે. ટ્રાફિક ફ્લો ઓપ્ટિમાઇઝેશન : સિગ્નલ ટાઈમિંગ સુધારવાથી વાહનો ઓછા સમય ઊભાં રહેશે, ફ્યૂઅલ-એનર્જી બંનેની બચત થશે. રિન્યુએબલ એનર્જી પ્લાનિંગ : સોલાર રૂફટોપ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ ક્યાં વધુ અસરકારક રહેશે તે ડિજિટલ મોડલથી નક્કી થશે. ડિજિટલ ટ્વિન પ્રોજેક્ટની ઉપયોગીતા 1 રોડ ટ્રાફિક : ટ્રાફિક ફ્લો, બ્લેકસ્પોટ અને રોડ કટિંગની અસરનું લાઈવ એનાલિસીસ કરી જામ ઘટાડવા, માર્ગ સલામતી વધારવામાં મદદરૂપ બનશે 2 પાણી ડ્રેનેજ : પાણી લાઇન લીકેજ, પ્રેશર,વરસાદી પાણીના પ્રવાહનું મોનિટરિંગ કરી પાણી ભરાવું અને સપ્લાય પ્રશ્નો ઝડપી ઉકેલ મળશે 3 AQI પર્યાવરણ : એર ક્વોલિટી, હીટ-ઝોન અને ગ્રીન કવરનો ડેટા એક સાથે દેખાશે, જેથી પ્રદૂષણ નિયંત્રણ, હરિત આયોજન અસરકારક થશે.વૃક્ષ ક્યાં વાવવાં તે નક્કી થશે 4 ઇમર્જન્સી મેનેજમેન્ટ : પૂર, આગ અને અકસ્માતમાં પૂર્વ સિમ્યુલેશનથી તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં મદદ મળશે ડિઝાસ્ટરને પહોંચી વળવા ડિજિટલ ટ્વિન ઉપયોગી થશેઆવનારા દિવસમાં શહેરનું આયોજન ડિજિટલ ટ્વિનના આધારે કરવામાં આવશે. આ રિજિલિયન્ટ પ્લાનમાં અને કોઈ પણ ડિઝાસ્ટરને પહોંચી વળવા આ ડિજિટલ ટ્વિન બહુ ઉપયોગી નીવડશે. - અરુણ મહેશ બાબુ, મ્યુનિસિપલ કમિશનર

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 6:16 am

ચૂંટણી ઇફેક્ટ:પાણીના ટેન્કર પરનો રૂા.300નો વધારો સ્થાયીએ નકાર્યો

પાલિકાનું 7609 કરોડનું ડ્રાફ્ટ બજેટ મ્યુ. કમિશનર અરુણ મહેશ બાબુએ સ્થાયીમાં રજૂ કર્યા બાદ સભ્યોએ પાણીના ટેન્કર પર રૂા.300નો સૂચિત વધારો પાછો લેવા ચર્ચા કરી હતી. બજેટમાં નવી આવકની જાહેરાત કરાઈ નથી તેવામાં સ્થાયીએ 18 કરોડની આવકના બે સ્રોત સૂચવ્યા છે. સ્થાયી સમિતિમાં પાલિકાની આવક મુદ્દે થયેલી ચર્ચામાં ઇમ્પેક્ટ ફીની લાગત મૂકી 15 કરોડની આવક અને કમાટીબાગમાં આઉટસોર્સિંગથી ફુડ સ્ટોલ સહિતની ખાણીપીણીની સુવિધા ઊભી કરી વાર્ષિક 3 કરોડની આવક મેળવવાનું સૂચન કરાયું છે. પાલિકાના મિકેનિકલ વિભાગે જેસીબી, ડમ્પર, રોબોટ મશીન સહિતની મશીનરી ખાનગી સોસાયટી કે ખાનગી માલિકીના પ્લોટ સાફ કરવા માટે નહીં આપવાનો પરિપત્ર કર્યો છે. બજેટની ચર્ચામાં સ્થાયી બેઠકમાં આ મુદ્દો ઊઠતા સભ્યોએ નારાજગી વ્યક્ત કરી હતી. બીજી તરફ મ્યુનિ. કમિશનરે તેઓ આ બાબતે કંઈ જાણતા ન હોવાની સ્પષ્ટતા કરી હતી. તાંદલજામાં આરોગ્ય કેન્દ્ર, વડીલ વિસામાની જરૂર નથીબજેટમાં તાંદલજા વિસ્તારમાં રૂા.8 કરોડના ખર્ચે કમ્યૂનિટી હોલ, રૂા.4 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્ર અને રૂા. 1 કરોડના ખર્ચે વડીલ વિસામો બનાવવાનું કામ મૂકાયું છે. પાલિકાની સ્થાયી સમિતિના સભ્ય અને વોર્ડ 10ના કાઉન્સિલર નીતિન દોંગાએ આ ત્રણેય કામોને રદ કરવા માટે સૂચન કર્યું હતું. તેઓનું કહેવું હતું કે, તાંદલજા વિસ્તારમાં આ કામોની કોઈ જરૂરિયાત નથી.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 6:11 am

કડકાઈ:વાહનની તીવ્ર પ્રકાશ ફેંકતી લાઇટનું ચેકિંગ શરૂ, આરટીઓ દ્વારા રોજ 20 ચાલકોને દંડ

શહેરમાં નિમણૂક પામેલા નવા આરટીઓ દ્વારા શહેરમાં અને હાઇવે પર વાહનોની લાઇટનું ચેકિંગ શરૂ કરાયું છે. રાજ્ય સરકારના કડક આદેશ અને પરિપત્રને પગલે વાહનોમાં અનધિકૃત લગાવેલી અને તીવ્ર લાઈટ ફેંકતી સફેદ એલઇડી લાઇટનું ચેકિંગ કરી રોજ 20 જેટલા વાહનોને દંડ કરાય છે. હેવી અને લાઈટ વ્હીકલમાં લગાવાતી સફેદ એલઇડી લાઇટથી સામેથી આવતાં વાહનોના ચાલકની આંખો અંજાતી હોય છે અને અકસ્માત થતા હોય છે. જોકે સરકાર પાસે હેવી લાઇટથી કેટલા અકસ્માત થયા તે અંગે કોઇ ડેટા નથી. વડોદરા આરટીઓના અધિકારી મુજબ ફિટનેસ સેન્ટરમાં લાઈટ ચેકિંગ કરતા સેન્સર જેને સાદી ભાષામાં ગન કહેવાય છે તેનું પ્લેસમેન્ટ ચેન્જ કરતાં વાહનો ટેસ્ટમાં પાસ થઈ જતાં હોય છે. જોકે આ વાત ફિટનેસ સેન્ટર દ્વારા સદંતર નકારાઈ છે. વડોદરા આરટીઓ કીર્તન ખપેડે જણાવ્યા મુજબ હાઇવે પર ફિટનેસ સર્ટિફિકેટ ચેક કરીએ છીએ. જ્યારે ખાનગી વાહનો દ્વારા જો કંપની ફિટેડ સિવાયની લાઇટ હોય તો કાર્યવાહી થાય છે. સરકાર દ્વારા હેવી લાઇટ કે એક્સ્ટ્રા લાઇટ લગાવનાર પાસે 1 હજારનો દંડ વસૂલાય છે, પણ વાહનની લાઇટ બદલાવવા અંગે જોગવાઇ નથી. વાહનની લાઇટ બદલાવે તો આરટીઓ તે અંગે માહિતી આપવાની હોતી નથીવાહનચાલક દ્વારા લાઇટ અંગે જો નિયમ ભંગ થયો હોય તો તેની એન્ટ્રી વાહન પોર્ટલ પર કરાવાય આવે તો તેની અસર પડે છે. વાહન માલિકે પોતાના વાહનની લાઇટ બદલાવી કે નહીં તે અંગે કોઇ માહિતી આરટીઓને આપવાની નથી હોતી. વાહન જેટલીવાર પકડાય તેટલો દંડ વધે છેવાહનનો અકસ્માત હેવી લાઇટને લીધે થયો તે અંગે પોલીસ દ્વારા એફઆઇઆરમાં નોંધ કરાય તો ડેટા મળે. હાલ કોઇ ડેટા નથી. વાહન જેટલીવાર પકડાય તેટલી દંડની રકમ વધારાય છે. > કીર્તન ખપેડ, આરટીઓ, વડોદરા

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 6:10 am

રહીશો નારાજ:રાજમહેલ રોડ પર પુરાણ ન થતાં ખાડામાં ટ્રક ફસાઇ

શહેરના રાજમહેલ રોડ પર આવેલી ખાડિયા પોળના નાકે સિમેન્ટ ભરેલી ટ્રકના ટાયર ખાડામાં ઊભી જતાં સ્થાનિક લોકોમાં નારાજગી ફેલાઈ હતી. બનાવ અંગે સ્થાનિક મહિલા કાઉન્સિલરે અધિકારીઓની બેદરકારીને કારણે ઘટના બની હોવાનો બળાપો ઠાલવ્યો હતો. તેમણે બેદરકાર અધિકારીઓ સામે પગલાં ભરવા માટે તેમણે માગ કરી હતી. શહેરના રાજમહેલ રોડ પર ખાડિયાપોળ-2ના નાકે સવારે પાણીની લાઈન નાખવાની કામગીરી વેળાએ સિમેન્ટ ભરેલી 14 પૈડાંની ટ્રક ખાડામાં ફસાઈ હતી. ટાયર ખાડામાં ખૂંપી જતાં પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. ઘટનાને પગલે રહીશોમાં ભારે નારાજગી ફેલાઈ હતી. બીજી તરફ ઘટનાની જાણ થતાં સ્થાનિક કાઉન્સિલર જાગૃતિબેન કાકા સ્થળ પર દોડી ગયાં હતાં. જોકે તેઓએ જાહેરમાં અધિકારીની ભૂલને કારણે આ થયું હોવાનું કબૂલ્યું હતું. તેઓએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે, વિસ્તારમાં ચાલી રહેલી કામગીરી દરમિયાન યોગ્ય દેખરેખ ન રાખવાને કારણે આ પ્રકારની ઘટના બની રહી છે. મ્યુનિસિપલ કમિશનર આવા અધિકારીઓ સામે પગલાં ભરે તેવી તેઓએ માગ કરી હતી. આશ્ચર્યજનક બાબત એ છે કે, ભાજપ શાસિત પાલિકાના તંત્ર વિરુદ્ધ ભાજપનાં જ કાઉન્સિલર ફરિયાદ કરે છે, જે ચિંતાજનક બાબત છે.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 6:09 am

SIR:સયાજીગંજમાં 8228 મતદાર સામે 116 લોકોએ વાંધા લીધા, RSSના કાર્યકરે 443 ફોર્મ-7 ભર્યાં

સયાજીગંજ વિધાનસભામાં 116 લોકોએ 8228 લોકોના મતદાર હોવા સામે ફોર્મ 7 ભરી વાંધા ઉઠાવ્યા છે. જેમાં આરએસએસના એક વાંધેદારે 443 વાંધા અરજી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેમનાં નામ કમી કરવા વાંધા ઊઠ્યા છે તેવા કેટલાક મતદારોએ કલેક્ટર કચેરી પહોંચી કલેક્ટરને કહ્યું કે, ‘હું તમારી સામે ઊભો છું, જેણે મારી સામે વાંધો લીધો તેની સામે કાર્યવાહી કરો.’ બીજી તરફ કોંગ્રેસના નરેન્દ્ર રાવતે આક્ષેપ કર્યો કે, મતદારને મતદાન કરતાં રોકી તેના અધિકારોને છીનવી ભાજપ ચૂંટણી જીતવા માગે છે. કોંગ્રેસ સહિત 5 મતદારોએ તેમનાં નામ કમી કરવાનું ફોર્મ ભરનારા સામે ફરિયાદ નોંધવા પોલીસ કમિશનર અને કલેક્ટરને અરજી આપી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓએ નાગરિકોના મતદાન રદ કરવા માટે ખોટા પુરાવા અને ડિક્લેરેશન કરી સયાજીગંજ વિધાનસભામાં 8,228 લોકોના મતાધિકાર ખતમ કરવા પ્રયાસ કર્યો છે. અમે 116 વ્યક્તિની યાદી બનાવી છે. જેમણે 100, 200 અને 500 અરજી કરી છે, જેમાં જે તે મતદારનું નામ રદ કરવા અરજી આપી છે. અમે સીસીટીવી ફુટેજ સાથે પોલીસ ફરિયાદ કરવા તાકીદ કરી છે. 116 લોકો તથા મુખ્ય ચૂંટણી અધિકારી સામે પોલીસ કાર્યવાહીની માગ લેખિતમાં કરી છે. વાંધેદારનું નામ વાંધાની સંખ્યા તંત્ર સામે બે સવાલો ઊભા થયા 1) શું BLOએ કરેલું મેપિંગ ખોટું હતું કે જેમાં સયાજીગંજ મતવિસ્તારમાં 8500થી વધુ લોકોનાં નામ સામે વાંધો લેવાયો? 2) મેપિંગમાં BLOએ વ્યક્તિગત રેકોર્ડ ચકાસ્યા હતા. જો કોઈ ફોર્મ-7 ભરે તો પુરાવા રજૂ કરવા જોઈએ. ચૂંટણી આયોગ દ્વારા પુરાવા વગર ફોર્મ-7 કેમ સ્વીકારવામાં આવ્યું? નામ કમીનું ફોર્મ ભરનારા સામે ગુનો નોંધવા 5 મતદારની પોલીસ કમિશનર-કલેક્ટરને અરજી 1 મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કલેક્ટર વાંધા લેનાર સામે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ની કલમ 31, 107, 120, 130, ભારતીય ન્યાય સંહિતાની કલમ 381 હેઠળ ફરિયાદ નોંધે. 2 જેમણે ફોર્મ નં. 7માં ખોટી માહિતી આપી છે અને BLOએ પહેલેથી જ ચકાસેલા લોકોનાં નામ મતદાર યાદીમાંથી મોટા પાયે કાઢી નાખવાના ઈરાદાથી કામ કર્યું છે. આમાં સંડોવાયેલા અધિકારીઓ સહિત અન્યોની ધરપકડ થાય. 3 કલેક્ટર તમામ ફોર્મ-7 રદ જાહેર કરીને આવી અરજીઓના આધારે કોઈ મતદારનું નામ યાદીમાંથી ન નીકળે તેવી ખાતરી કરે. મારા નામે ફોર્મ ભરાયાં, મને જાણ નથીમારા નામે ફોર્મ નં-7 ભરાયા છે, મને જાણ નથી. મેં ફોર્મમાં સાઈન નથી કરી. મારી પર અધિકારીનો ફોન આવ્યો નથી. > મુકેશ ઠક્કર, ટીપી-13 ખોટા પુરાવા રજૂ કર્યા છે, ફરિયાદ કરી છેમારું નામ કમી કરાવનાર ટીપી-13ના મુકેશ ઠક્કર સામે પોલીસ ફરિયાદ કરી છે. તેમણે નામ કમી કરવા ખોટા પુરાવા રજૂ કર્યા છે. > અક્રમખાન પઠાણ, નવાયાર્ડ નોટિસ આવી ત્યારે મને જાણ થઈમારા નામે વાંધા લેવાયા તેની જાણ નથી. મને કલેક્ટર કચેરીમાંથી નોટિસ આવી ત્યારે જાણ થઈ. મેં જવાબ નોંધાવ્યો છે. > રોહિત પંચાલ, છાણી કોંગ્રેસ દ્વારા કરાયેલા આક્ષેપની જાણ નથીએસઆઈઆરની પ્રક્રિયામાં ફોર્મ નંબર 6,7 અને 8 ભરાઈ રહ્યાં છે. જોકે કોંગ્રેસે કરેલા આક્ષેપો બાબતે કોઈ જાણકારી નથી. > ડો.જયપ્રકાશ સોની, પ્રમુખ,શહેર ભાજપ ભાજપના જ નેતાઓએ બૂથ લેવલના કાર્યકરોનાં નામે ફોર્મ ભરાવ્યાં, કાર્યકરોને કહ્યું કે, ‘જવાબ લખાવી આવો, પછી કાંઈક કરીએ’ભાજપના બૂથ લેવલના કેટલાંક કાર્યકરે કહ્યું કે, જાણ બહાર નેતાઓएएએ ખોટી સહી કરી ફોર્મ-7 ભર્યાં છે.કલેક્ટર કચેરીમાંથી નોટિસ અપાતાં જવાબ લખાવ્યો છે.કાર્યકરોએ પૂછતાં નેતાઓએ કહ્યું કે, ‘જવાબ લખાવી આવો પછી કંઈ કરીએ.’ સૂત્રો મુજબ પાર્ટી લેવલથી જ ફોર્મ આવ્યાં હતાં. બૂથ પર બેસતા ભાજપના કાર્યકરનો એપીક નંબર લઇ ખોટી સહી કરી વાંધા લેવાયા છે. પૂર્વ મેયર સહિતે ફોર્મ-7 ભરવાની કાર્યશાળા કરીએસઆઇઆરમાં પૂર્વ મેયર સહિત કેટલાક નેતાએ ફોર્મ-7 કેવી રીતે ભરવું તેની શહેરમાં વિવિધ સ્થળે કાર્યશાળા યોજી હોવાનું રાજકીય સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. બૂથ પ્રમુખોને મોટી સંખ્યામાં ફોર્મ-7 ભરવાનો આદેશ અપાયો હોવાનું પણ જણાયું છે. ઇનસાઇડ

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 6:09 am

અમદાવાદથી 100 કિલોમીટરના અંતરે સપનાઓનું શહેર:જાયન્ટ કંપનીઓના પાયા નંખાયા, ધોલેરા સ્માર્ટ સિટીની એક ઝલક જુઓ, આવતીકાલે સવારે 6 વાગ્યે

અમદાવાદથી માત્ર 100 કિલોમીટરના અંતરે આકાર લઈ રહ્યું છે સ્માર્ટ સિટી ધોલેરા. જેમાં મોટી ઈન્ડસ્ટ્રીઝે રોકાણ શરૂ કરી દીધું છે. રેસિડેન્શિયલ કોમ્પલેક્સના પાયા નંખાવાની શરૂઆત થઈ ચુકી છે. હાલ કેટલું કામ થયું છે અને આવનારા વર્ષોમાં શું પ્લાન છે? જાણવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને મેળવો ગુજરાતના બિગ પ્રોજેક્ટની એક ઝલક.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 6:00 am

ગોપાલ ઈટાલિયાએ ઈસુદાન ગઢવી સાથે ટ્રેન્ડિંગ ગરબા કર્યાં:વિસાવદરના ચીફ ઓફિસર-ઉપ પ્રમુખ બાખડ્યા, ખુરસી પરથી ઉભા થઈ બોલ્યા, ‘નોનસેન્સ, ડફોળિયાઓ’

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 6:00 am

મેદાને ઉતર્યા વગર સ્પોર્ટસમાં શાનદાર કરિયર:30 હજારથી 30 લાખ સુધીની આવક, કોમનવેલ્થની યજમાની અને ઓલિમ્પિકની તૈયારી સોનેરી તક બનશે

ભારતમાં ઓલિમ્પિક લાવવા માટે સરકાર અને લોકો બન્ને ઉત્સાહિત છે. ઓલિમ્પિક અમદાવાદમાં આવે એ માટે સરકાર તરફથી એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની ભારતને મળી છે. જેથી યુવાનોમાં પણ એટલો જ ઉત્સાહ છે. જોકે સ્પોર્ટસને કારકિર્દી તરીકે અપનાવવામાં યુવાનોને ફક્ત ખેલાડી તરીકે જ તક દેખાય છે પણ રમત ગમત ક્ષેત્રે ઘણી વિશાળ તકો રહેલી છે. દિવ્ય ભાસ્કરે એક્સપર્ટને મળીને ગુજરાતમાં કેવી તકો રહેલી છે તે જાણ્યું હતું. સામાન્ય રીતે યુવાનોમાં એવી છાપ હોય છે કે ખેલાડી તરીકે મેદાન પર ઉતરીને કંઇક કરી બતાવવું છે. જો કે સ્પોર્ટસ ક્ષેત્રે મેદાને ઉતર્યા વગર પણ સારી આવક મેળવી શકાય છે કેમ કે આ ક્ષેત્રમાં નોકરી, સ્ટાર્ટ અપ, ફ્રી લાન્સ જેવી ઘણી તકો છે. રાજ્યની સ્વર્ણિમ ગાંધીનગર યુનિવર્સિટી, ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી, એલ.જે.યુનિવર્સિટી જેવી યુનિવર્સિટીમાં સ્પોર્ટસના કોર્સ થાય છે. 2016થી સ્પોર્ટસ કોર્સની શરૂઆત સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી છેલ્લા 10 વર્ષથી કાર્યરત છે.યુનિવર્સિટીએ 2016 થી સ્પોર્ટસ મેનેજમેન્ટનો કોર્સ શરૂ કર્યો છે. ડૉ.રણછોડ રથવી સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના ડિપોર્ટમેન્ટ ઓફ ફિઝીકલ એજ્યુકેશનના પ્રોફેસર છે. તેમણે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, સ્પોર્ટસ મેનેજમેન્ટમાં નેતૃત્વ અને વ્યવસ્થાપન, સુવિધા વ્યવસ્થાપન, સંકલન અને પ્રવાસન આયોજન, ઇવેન્ટ મેનેજમેન્ટ, સ્પોર્ટસ માર્કેટિંગ, નોલેજ એડિંગ, ક્રિએટિવ રાઇટિંગ, જાહેર ભાષણ, લે આઉટ ડિઝાઇનિંગ, વીડિયો એડિટિંગ જેવા અનેક વિષયો ભણાવવામાં આવે છે. આ બધા વિષયોમાં તક પ્રાપ્ત થાય છે. આ કોર્સમાં એડમિશન માટે ગ્રેજ્યુએશન કરેલું હોવું જરૂરી છે. તેમણે કહ્યું કે, કોઇપણ વિદ્યાર્થી કોઇપણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએટ થયેલો હોવો જોઈએ. ભાઇઓ માટે 16,225 રૂપિયા જ્યારે બહેનો માટે 225 રૂપિયા ફી છે. એક વર્ષનો PGDCM કોર્સ છે ઉપરાંત 4 વર્ષનો BBMનો ડિગ્રી કોર્સ પણ છે.' ઇવેન્ટ મેનેજમેન્ટ લીગ ટૂર્નામેન્ટનો મહત્વનો ભાગતેમના મતે, સ્પોર્ટસ મેનેજમેન્ટ કરેલા સ્ટુડન્ટ્સનું ભવિષ્ય ઘણું ઉજ્જવળ છે. કારણ કે અત્યારે ઘણી કંપનીઓ સ્પોર્ટસ અંગે કામ કરી રહી છે. જેમાં સ્પોર્ટસ મેનેજમેન્ટના સ્ટુડન્ટ્સનું મહત્વ હોય જ છે. જેમ કે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતમાં સ્પોર્ટસ મેનેજમેન્ટ કરેલા ઘણા સ્ટુડન્ટ્સ જોબ કરે છે. એ જ રીતે જુદી જુદી સ્પોર્ટસ કંપનીઓમાં પણ સ્ટુડન્ટ્સ જોબ કરે છે. 'અમારી યુનિવર્સિટીમાંથી પાસ આઉટ થયેલા ઘણા સ્ટુડન્ટ્સ ઇન્કમટેક્સ, SAG, અમારી જ યુનિવર્સિટીમાં જોબ કરી રહ્યા છે. ભણીને બહાર નીકળે ત્યારે એમના પગારની શરૂઆત 30 હજારથી 40 હજાર હોય છે.' ગાંધીનગર યુનિવર્સિટીમાં પણ સ્પોર્ટસને લગતા કોર્સ થાય છે. કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતમાં રમાવાની હોવાથી આ યુનિવર્સિટી નવા કોર્સ પણ ચાલુ કરવાની છે. 10થી 15 નવા કોર્સ ચાલુ થશેવિનિતા રોહેરા ગાંધીનગર યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ટ્રસ્ટી છે. તેમણે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, ફક્ત સ્પોર્ટસ મેનેજમેન્ટ જ નહીં, અમે કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સને ધ્યાનમાં રાખીને સ્પોર્ટસ મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન કોર્સ પ્રપોઝ કરવાના છીએ. એમાં અન્ય કોર્સ પણ સામેલ છે. 'અમારે ત્યાં 6 ડિપાર્ટમેન્ટમાં 10 થી 15 કોર્સ આવવાના છે. જેમાં સ્પોર્ટસ મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન, સ્પોર્ટસ સાયન્સ અને પર્ફોર્મન્સ, સ્પોર્ટસ મેડિસિન અને હેલ્થ, ઇવેન્ટ અને હોસ્પિટાલિટી મેનેજમેન્ટ, મીડિયા, કોમ્યુનિકેશન અને ડિજિટલ સ્પોર્ટસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પોર્ટસ સંબંધિત અર્બન ડેવલપમેન્ટ જેવા કોર્સ છે.' 'આ કોર્સ કર્યા પછી વિદ્યાર્થીઓ સામે મેનેજર, પર્ફોર્મન્સ એનાલિસ્ટ, સ્પોર્ટસ સાયન્ટિસ્ટ, સ્પોર્ટસ ફિઝિયોથેરાપિસ્ટ, ન્યૂટ્રિશનિસ્ટ બનવાની તકો હોય છે. કોર્સ પ્રમાણે આશરે 20 હજારથી માંડીને 1.50 લાખ રૂપિયાની જુદી-જુદી ફી હોય છે. દરેક કોર્સમાં અંદાજે 120 બેઠકો હોય છે. યુનિવર્સિટીનો ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ આખું વર્ષ કામ કરે છે અને વિદ્યાર્થીઓને ટોપ કંપનીઓ સાથે જોડે છે.' મોટી કંપનીઓ ભરતી કરી રહી છેતેમણે આગળ કહ્યું કે, કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિકની તૈયારીને ધ્યાને રાખીને LT,અદાણી જેવી કંપનીઓ ભરતી કરી રહી છે. અમદાવાદની એલ.જે.યુનિવર્સિટીમાં સ્પોર્ટસ મેનેજમેન્ટનો કોર્સ વર્ષ 2018થી ચાલે છે. વિરલ શાહ એલ.જે.ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે. તેમણે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, સ્પોર્ટસમાં દરેક ખેલાડીની કરિયર ટોપ પર નથી જતી તેમ છતાં જેનું પેશન છે અને સ્પોર્ટસ સાથે જોડાયેલા રહેવા માંગતા હોય ત્યારે મેનેજમેન્ટ શીખે તો સ્પોર્ટસ સાથે જોડાઇને રહી શકે છે. એ ધ્યાનમાં રાખીને અમે ગુજરાતમાં સ્પોર્ટસ મેનેજમેન્ટનો બીબીએ પ્રોગ્રામ શરૂ કર્યો હતો. એ સમયે અમે એકલા જ હતા. કદાચ આજે પણ સ્પોર્ટસ મેનેજમેન્ટમાં 3 વર્ષની બીબીએ ડિગ્રી આપતું હોય તેવું કોઇ નથી. મેનેજમેન્ટની સાથે સ્પોર્ટસજો કોઇ વિદ્યાર્થી BBA સ્પોર્ટસ મેનેજમેન્ટમાં એડમિશન લે તો તે મેનેજમેન્ટની સાથે સ્પોર્ટસ પણ ભણે છે. ફાઇનાન્સ અને સ્પોર્ટસ ફાઇનાન્સ, માર્કેટિંગ અને સ્પોર્ટસ માર્કેટિંગ, સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રકચર, બાયોમિકેનિક્સ લીગ મેનેજમેન્ટ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, સ્પોર્ટસ ઇવેન્ટ મેનેજમેન્ટ પણ તેમાં આવી જાય છે. તેમણે કહ્યું કે, મોટાભાગે વિદ્યાર્થીઓ ભણતા હોય ત્યારે જ ઇન્ટર્નશીપ શરૂ થઇ જાય છે. એ પછી જોબ પણ શરૂ થઇ જાય છે. ઘણીવાર વિદ્યાર્થીઓ સ્પોર્ટસમાં જોબ ન કરે પણ બીબીએ બાદ એમબીએની ડિગ્રી લઇને કોર્પોરેટમાં જાય છે સાથે સ્પોર્ટસમાં લેઝર સમયમાં કામ કરે છે. જેમ કે જોબ બાદ સાંજના સમયે ટૂર્નામેન્ટમાં અમ્પાયરિંગ કરે, કોચિંગ આપે અથવા રેફરી તરીકે જાય છે. 'જેમ અનઘ ચક્રવર્તી ઇ-સ્પોર્ટસની સાથે અમદાવાદની સ્કૂલોમાં મેનેજમેન્ટ અને કોચિંગ પણ આપે છે. નેહલ નામનો વિદ્યાર્થી સ્પોર્ટસ માર્કેટિંગ કંપનીમાં માર્કેટિંગનું કામ કરે છે. આવા ઘણા સ્ટુડન્ટ્સ છે જે ડિકેથલોનમાં કામ કરે છે. કેટલાકે પોતાની એકેડેમી ખોલી છે. જેમાં તે જુનિયર સ્ટુડન્ટ્સને પણ જોડે છે.' 200થી વધુ વિદ્યાર્થીઓ સ્પોર્ટસ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએટ થયા'અમારે ત્યાં દર વર્ષે 45 જેટલા વિદ્યાર્થીઓની બેચ હોય છે. અત્યાર સુધી લગભગ 200થી વધુ સ્ટુડન્ટ્સ સ્પોર્ટસ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએટ થયા છે. કેટલાય વિદ્યાર્થીઓ અહીં ભણીને વિદેશ પણ ગયા છે. ચારુ શર્માને કોમેન્ટેટર તરીકે લોકો જાણે છે પંરતુ બહુ ઓછાને ખબર છે કે એમની સ્પોર્ટસ ઇવેન્ટ મેનેજમેન્ટ અને માર્કેટિંગ કંપની માર્શલ સ્પોર્ટસ પણ છે.' વિરલ શાહે આ ક્ષેત્રે કેવી-કેવી તકો રહેલી છે તે પણ જણાવ્યું. તેમણે કહ્યું કે, આઇપીએલ બાદ ઘણી બધી લીગ આવી. વિદ્યાર્થીઓ આ લીગના મેનેજમેન્ટમાં જાય છે. તેમને ફ્રેન્ચાઇઝી મેનેજ કરવાની હોય છે. કેટલાક સ્પોર્ટસ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં કામ કરે છે. કોર્પોરેટ કંપનીઓ એન્યુઅલ ઇવેન્ટની માફક સ્પોર્ટસ યોજે છે. એ મેનેજમેન્ટ કરવા માટેની કંપનીમાં પણ સ્ટુડન્ટ્સ રૂપિયા કમાઇ રહ્યાં છે. ઘણા વિદ્યાર્થીઓએ એકેડેમી ખોલી છે. કેટલાક સ્પોર્ટસ મરચંડાઇઝ એટલે કે ટીશર્ટ, ટ્રોફી જેવા સાધનો બનાવે છે. આ સિવાય સ્પોર્ટસ સાયકોલોજિસ્ટ, સ્પોર્ટસ ન્યૂટ્રિશનિસ્ટ, સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કરવામાં પર્સનલ ટ્રેનર જેવા સ્કોપ છે. 'અમારા સ્ટુડન્ટ્સ એક વ્યક્તિ પાસેથી મહિને 20 હજાર રૂપિયા ચાર્જ કરે છે. એ જિમ ઇન્સ્ટ્રક્ટર નથી, તેનાથી અલગ છે. એક સ્ટુડન્ટ્સ એક કંપનીમાં સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રકચર બનાવવાનું કામ કરે છે. હાલમાં પીકલ બોલ બહુ ચાલે છે. એના કોર્ટ બનાવવાનું કામ એ કરે છે.' એપ પરથી ગ્રાઉન્ડ બુક કરવાનું સ્ટાર્ટ અપ'એક સ્ટુડન્ટે સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે જેમાં બૂક માય શો પર ફિલ્મ બૂક કરો એમ તેની એપ પરથી સ્પોર્ટસ ગ્રાઉન્ડ બૂક કરી શકો. આગળ એ એવું પણ ડેવલપ કરે છે કે કોઇની પાસે પ્લેયર ન હોય તો એ પણ સિલેક્ટ કરી શકાય છે. આવા સ્ટાર્ટ અપને અમે પ્રમોટ અને ફન્ડિંગ કર્યું છે. આવતા 15 વર્ષ સ્પોર્ટસ માટેનો ગોલ્ડન પિરિયડ છે.' તેમણે જણાવ્યું કે, સ્પોર્ટસ મેનેજમેન્ટની એક વર્ષની ફી 60 હજાર રૂપિયા છે. એ તો અમારા સ્ટુડન્ટ બીજા સેમેસ્ટર કે બીજા વર્ષમાં જ કમાઇ લે છે કારણ કે પેઇડ ઇન્ટર્નશીપમાં જ વર્ષે લાખ રૂપિયાની આવક હોય છે. જોબ બહુ સહેલી થઇ છે. નાની સ્કૂલો પણ હાલમાં સ્પોર્ટસ મેનેજર હાયર કરે છે.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 6:00 am

‘સિક્રેટ ઓફ હેલ્થ’ વિષય પર યોજાયું સેમિનાર:રાયને ગરમ તેલમાં નાખવાથી તેલના ટ્રાન્સફેટી એસિડ ઓછા થાય છે

વરાછા ખાતે આવેલી જેડી ગાબાણી લાઇબ્રેરીમાં ‘સિક્રેટ ઓફ હેલ્થ’ વિષય પર આરોગ્ય જાગૃતિ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેશનમાં ડો. સુરજ સાવજે ઉપસ્થિત શ્રોતાઓને સારું સ્વાસ્થ્ય જાળવવા માટે જરૂરી ખોરાક, રોજિંદી આદતો અને બીમારી દરમિયાન અપનાવી શકાય તેવી હોમ રેમેડી અંગે સરળ ભાષામાં માહિતી આપી હતી. ડો. સાવજે જણાવ્યું હતું કે આજકાલ બજારમાં મળતા ઘણા ફળોમાં પેસ્ટિસાઇડનું પ્રમાણ વધારે હોય છે, તેથી ચણ્યાબોર, ગોરસઆમલી, ખાટી આમલી, બાવડના પૈડા, કમરક અને ખટૂમડા જેવા પરંપરાગત ફળો ખાવા જોઈએ, જે શરીર માટે વધુ ફાયદાકારક છે. તેમણે જણાવ્યું કે અરૂડસીના પાનમાં કેન્સર વિરોધી તત્વો હોય છે, તેથી કેન્સરના દર્દીઓ માટે તે ઉપયોગી બની શકે છે. હળદરમાં રહેલું કર્ક્યુમીન શરીરને ઘણી બીમારીઓ સામે રક્ષણ આપે છે. કર્ક્યુમીનને ઘી સાથે મિક્સ કરીને જીભની નીચે રાખવાથી તેનો લાભ વધુ મળે છે. રાયમાં ક્રોમિયમ તત્વ હોય છે, અને રાયને ગરમ તેલમાં નાખવાથી તેલના ટ્રાન્સફેટી એસિડ ઓછા થાય છે, તેથી ભોજન બનાવતી વખતે રાયનો ઉપયોગ કરવો જોઈએ.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 5:12 am

ગૌરવની ક્ષણ:ભાવનગર યુનિવર્સિટીના શિક્ષણ વિભાગની GCERTના સંશોધન પ્રોજેક્ટ માટે પસંદગી

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના શિક્ષણ વિભાગ માટે ગૌરવની ક્ષણ છે કે ગુજરાત કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (GCERT), ગાંધીનગર દ્વારા રાજ્યભરમાં અમલમાં મૂકાયેલા “Joyful Saturday (આનંદમયી શનિવાર)” કાર્યક્રમ પર આધારિત સંશોધન પ્રોજેક્ટને અધિકૃત મંજૂરી પ્રાપ્ત થઈ છે. આ સંશોધન પ્રોજેક્ટ રાજ્યના પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રમાં અમલમાં રહેલી એક મહત્વપૂર્ણ અને નવીન શૈક્ષણિક પહેલના વૈજ્ઞાનિક મૂલ્યાંકન માટે હાથ ધરવામાં આવનાર છે. આ કાર્યક્રમનો મુખ્ય આશય એ છે કે શાળામાં શીખવાનું માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત ન રહે, પરંતુ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, સહકાર, સંવાદકૌશલ્ય, જીવનકૌશલ્ય અને શીખવાની આંતરિક પ્રેરણા વિકસે. પરંપરાગત શૈક્ષણિક માળખાથી આગળ વધી, શીક્ષણને અનુભૂતિસભર બનાવવાનો આ કાર્યક્રમ શિક્ષણક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન તરીકે જોવામાં આવે છે. આ સંદર્ભમાં MKBUના શિક્ષણ વિભાગે “Joyful Saturday” કાર્યક્રમના અમલીકરણ અને તેના શૈક્ષણિક પ્રભાવનું વૈજ્ઞાનિક અધ્યયન કરવા માટે સંશોધન પ્રસ્તાવ તૈયાર કર્યો હતો, જેને GCERT દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ભાવનગર બ્લોકની પ્રાથમિક શાળાઓમાં કાર્યક્રમની અમલપદ્ધતિ, પ્રવૃત્તિઓની વિવિધતા, તથા તેના પરિણામોનું વિસ્તૃત અને સુવ્યવસ્થિત અધ્યયન કરવામાં આવનાર છે. સંશોધન દરમિયાન ખાસ કરીને “Joyful Saturday” અંતર્ગત આયોજિત અભ્યાસક (Academic) તથા સહ-અભ્યાસક (Co-curricular) પ્રવૃત્તિઓ, વિદ્યાર્થીઓની હાજરી, અભ્યાસમાં રસ, વર્ગખંડ વર્તન, તેમજ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના અનુભવ અને અભિપ્રાય પર પડતા પ્રભાવનું વિશ્લેષણ કરવામાં આવશે. સંશોધન શિક્ષણને આનંદમય બનાવવામાં મદદરૂપ થશેવિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. ભરતભાઈ રામાનુજ તેમજ શિક્ષણ વિભાગના અધ્યક્ષ પ્રો. જે. આર. સોનવણે દ્વારા આ સંશોધન પ્રોજેક્ટને યુનિવર્સિટીના સંશોધન ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે ઓળખાવવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, “Joyful Saturday” જેવા કાર્યક્રમો વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ ઉપરાંત તેમની માનસિક સુખાકારી, સામાજિક સંવેદનશીલતા અને વ્યક્તિત્વ વિકાસમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આવા કાર્યક્રમો પર આધારિત સંશોધન દ્વારા શાળાશિક્ષણને વધુ માનવતાવાદી, સમાવેશક અને આનંદમય બનાવવામાં મદદ મળશે. જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ લેવા છેશિક્ષણ વિભાગ દ્વારા આ અભ્યાસ વૈજ્ઞાનિક અને સંશોધનાત્મક પદ્ધતિઓના આધાર પર હાથ ધરવામાં આવશે. તેમાં પ્રશ્નાવલી, અવલોકન ચેકલિસ્ટ, ઇન્ટરવ્યુ, અને દસ્તાવેજી વિશ્લેષણ જેવી વિવિધ ડેટા સંગ્રહ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવશે. પ્રાપ્ત થયેલ ડેટાનું ગુણાત્મક અને પરિમાણાત્મક બંને રીતે વિશ્લેષણ કરીને, સંશોધનને શૈક્ષણિક દૃષ્ટિએ મજબૂત અને વિશ્વસનીય બનાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 5:11 am

વાહનચાલકોને રાહત:વલભીપુર માઢીયા રોડ પર જંગલ કટીંગ, માટીના પીચીંગ વર્કથી રાહત

વલભીપુર માઢીયા રોડ પર જંગલ કટીંગ અને માટીનું પીચીંગ વર્ક શરૂ થતા વાહન ચાલકોને હાશકારો થયો છે. આ સમસ્યાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડતી હતી આખરે વાહન ચાલકોને રાહત થઇ છે. વલભીપુરથી માઢીયા ગામ થઇને ધોલેરા હાઇવે સાથે લીંકઅપ થતો આ હાઇવેને આણંદપુર ગામના પાદર સુધી ફોરલેન બનાવ્યા પછી હાઇવેની બન્ને સાઇડમાં ગાંડા બાવળોનું સામ્રાજય હતુ વધુમાં રોડની બન્ને બાજુ જરૂરી તેવું માટી કામનું પીચીંગ કરવામાં આવ્યું ન હતું. આ બન્ને સમસ્યાના કારણે વાહન ચાલકોને ભારે આપદા પડતી હતી અને માટીનું પીચીંગ કામ ન હોવાથી ઘણા વાહનો પલ્ટી મારી ગયા હોવાની ઘટનાઓ ઘટી હતી. મોડે મોડેથી પણ માર્ગ-મકાન વિભાગ દ્વારા હાલમાં જંગલ કટીંગ સાથે પીચીંગ કામ પણ શરૂ કરવામાં આવતા વાહન ચાલકોને મહંદઅંશે રાહત સાથે હાશકારો થયો છે.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 5:09 am

ગમખ્વાર અકસ્માત સર્જાયો:તળાજા-મહુવા હાઇવે ઉપર બે બાઇકના અકસ્માત : યુવકનું કરૂણ મોત નિપજ્યું

ભાવનગર જિલ્લાના તળાજા-મહુવા નેશનલ હાઇવે ઉપર બે બાઇકનો ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે બનાવમાં એક યુવકને ગંભીર ઇજા થતાં પ્રથમ તળાજા અને વધુ સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતા પરિવારમાં ભારે ગમગીની પ્રસરી જવા પામી હતી. જે ઘટનાને લઇને મૃતકના મોટા ભાઇએ અકસ્માત સર્જનાર બાઇક ચાલક વિરૂદ્ધ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તળાજા તાલુકાના રામપરા ગામે રહેતા હમીરભાઇ પબાભાઇ ચોપડાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના નાના ભાઇ નાજાભાઇ પબાભાઇ ચોપડા (ઉ.વ.33) પોતાનું બાઇક નં. GJ 04 ES 0171 લઇને તળાજાથી ભાવનગર શહેર બાજુ આવતા હતા. જે દરમિયાન ત‌ળાજા-મહુવા નેશનલ હાઇવે ઉપર ભારત પેટ્રોલ પંપની નજીક એક પુરપાટ ઝડપે આવેલા બાઇક નં. GJ 04 ED 8444 ના ચાલકે નાજાભાઇના બાઇક સાથે ગમખ્વાર અક્સમાત સર્જયો હતો. જે અકસ્માતમાં સામસામી બંન્ને બાઇક ચાલકોને ગંભીર ઇજા થતાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં નાજાભાઇની હાલત અતિ ગંભીર થતાં વધુ સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે નાજાભાઇને મૃત જાહેર કરતા પરિવારમાં ભારે શોક છવાઇ જવા પામ્યો હતો. ઘટનાની જાણ તળાજા પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે ધસી જઇ તપાસ હાથ ધરી હતી. તેમજ ઘટનામાં મૃતકના ભાઇ હમીરભાઇએ અજાણ્યા બાઇક ચાલક વિરૂદ્ધ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 5:08 am

કૃષિ વિશેષ:મોરચુપણાં ગામના ખેડૂત પ્રાકૃતિક કૃષિ મોડેલ બનાવી ખેડૂતો માટે બન્યાં પ્રેરણારૂપ

જેસર તાલુકાના મોરચુપણાં ગામના ખેડૂત સોમભાઈ મોભે માત્ર 2 વીઘા જમીનમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી મિક્સ શાકભાજી મોડેલ ફાર્મ વિકસાવ્યો છે. રસાયણ મુક્ત ખેતી પદ્ધતિ અપનાવી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી તેઓ સારી આવક મેળવી રહ્યા છે. તેમનો આ પ્રયાસ આજના સમયમાં કુદરત સાથે સુમેળમાં ખેતી કેવી રીતે કરવી તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. સોમભાઈ મોભ દ્વારા પ્રાકૃતિક ખેતીનાં વિવિધ આયામો અને ખાસ કરીને પાંચ સ્તરીય શાકભાજી પાકોના મિશ્રપાક મોડેલ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવે છે. તેઓ રીંગણ, મરચા, ગુવાર, ભીંડો, કોબી, ફ્લાવર, દૂધી, તુરીયા, ગલકા, કાકડી, મૂળા, ગાજર, ટમેટા તેમજ મકાઈ સહિત કુલ 15 પ્રકારની શાકભાજીનું સંયુક્ત વાવેતર કરી રહ્યા છે. આ પદ્ધતિથી જમીનની ઉપજશક્તિ જળવાઈ રહે છે તેમજ વર્ષભર સતત આવક મળે છે. આ મોડેલ ફાર્મની મુલાકાત લેવા આસપાસના વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનાઓ ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાત દરમિયાન પ્રાકૃતિક ખેતી પદ્ધતિ, મિશ્રપાક આયોજન, ઓછા ખર્ચે ખેતી, માર્કેટિંગ તથા મૂલ્યવર્ધન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રયાસથી પ્રાકૃતિક ખેતી પ્રત્યે ખેડૂતોમાં જાગૃતિ ફેલાઈ રહી છે અને અનેક ખેડૂતો આ પદ્ધતિ અપનાવવાની તૈયારી દર્શાવી રહ્યા છે. રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ પરનો ખર્ચ ઘટ્યોગાય આધારિત જીવામૃત, ઘનજીવામૃત, દશપર્ણી અર્ક જેવી કુદરતી દ્રાવણોનો ઉપયોગ કરી ખેતી કરવામાં આવે છે જેના કારણે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ પરનો ખર્ચ ઘટ્યો છે. માટીની આરોગ્યતા સુધરી છે અને પાકોની ગુણવત્તામાં પણ નોંધપાત્ર સુધારો થયો છે સાથે જ આરોગ્યપ્રદ અને રસાયણમુક્ત શાકભાજી ઉપજતાં ગ્રાહકોમાં પણ પ્રાકૃતિક ઉત્પાદનોની માંગ વધતી જોવા મળે છે.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 5:07 am

માર માર્યો:કામના સ્થળે થયેલ મનદુઃખની દાઝે માર માર્યો

સિહોરમાં કાસ્ટિંગ મિલમાં કામ કરતા સમયે થયેલ બોલાચાલીનું મન દુઃખ રાખી ચાર શખ્સોએ ઈસમ પર હુમલો કરી માર મારી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ હતી. સિહોર તાલુકાના પીપળીયા ગામે રહેતા રાહુલભાઈ નાગજીભાઈ સોનિયા શિહોર પ્રીતિ કાસ્ટિંગ મિલમાં કામ કરતા હતા તે વખતે તેને તથા શિહોરમાં જ રહેતા હાર્દિકભાઈ દુધાભાઈ લુણી ના ભાઈ વિવેકભાઈ લુણી વચ્ચે બોલાચાલિ થયેલ તેનું મન દુઃખ રાખી રાહુલભાઈ તથા તેના કાકા કાબાભાઈ બંને મીલમાંથી કામ પૂરું કરી ઘરે જતા હતા ત્યારે આ હાર્દિકભાઈ લુણી તથા તેના સાથે બીજા ત્રણ અજાણ્યા માણસોએ રાહુલભાઈ તથા કાબાભાઈ ને ઊભા રાખી ગાળો આપી લોખંડના પાઇપ વડે માર મારી તથા ઢીકા પાટુનો માર મારી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સિહોર પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 5:02 am

પ્રજાજન પરેશાન:કાળાતળાવ ગામમાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો

નારી સબ ડિવિઝન નીચે આવતા કાળાતળાવ ગામે અજાણ્યા વાહન ચાલકે અકસ્માત સર્જી બે વીજ પોલને નુકશાન પહોંચાડ્યું હતું. આ ઘટનાથી ગામના બે મુખ્ય રસ્તા બંધ થઇ જતા ગ્રામજનોને હાડમારીનો સામનો કરવો પડયો હતો. પોલને નુકસાન પહોંચવાની ઘટનાના 10 કલાક જેટલો સમય વિતવા છતાં કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેતા વીજ તંત્રવાહકોની ઢીલી કામગીરી સામે લોકોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. PGVCLનો સ્ટાફ કામગીરી કરી રહયો છેકાળાતળાવમાં વીજ પોલને નુકસાન થયાની ફરિયાદની પહેલા ભડભીડ નજીક પણ વીજ પોલને નુકસાનની ફરિયાદ મળી હતી. કોન્ટ્રાકટરના માણસો ત્યાં કામગીરી કરતા હોવાથી કાળાતળાવમાં મોડી કામગીરી શરુ થઇ છે ત્યારે હાલ બાકી એક ટ્રાન્સફોર્મમાં પાવર શરૂ કરવા PGVCLનો સ્ટાફ કામગીરી કરી રહયો છે. > એસ.આર.ખડોદરા, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, PGVCL ભાવનગર રૂરલ ડિવિઝન

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 5:01 am

જીવલેણ હુમલો:દારૂ પીને યુવકને છરીના ઘા ઝીંક્યા

પાલિતાણા ખાતે રહેતા પરશોતમભાઇ જગાભાઇ સરવૈયા તેમના પરિવારના સભ્યો સાથે તેમના ઘરે હતા. જે વખતે તેમની સોસાયટીમાં રહેતો કેટલાક શખ્સો બિભત્સ ગાળો બોલતા હોય જેને ગાળો ન બોલવાનું કહી, ઠપકો આપ્યો હતો. જે બાદ બકુલ પોપટભાઇ રંભાતર, સદામ અને બે અજાણ્યા શખ્સો તેમના ઘર પાસે તલવાર,છરી, લાકડાના ધોકા જેવા હથિયારો સાથે ધસી આવી, પરશોતમભાઇને આડેધડ શરીરના ભાગો ઉપર જીવલેણ હુમલો કરી, ગંભીર ઇજા કરી ફરાર થઇ જતાં પરશોતમભાઇએ ચારેય શખ્સો વિરૂદ્ધ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 5:01 am

વ્યાજ ખોરોનો આતંક:પાવઠી ગામના ખેડૂત ટ્રેક્ટર લઇને ઘરે જતાં બે વ્યાજખોર ટ્રેક્ટર આંચકી ફરાર

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામે રહેતા એક ખેડૂત પોતાનું ટ્રેક્ટર લઇને ઊંચડી ગામેથી પાવઠી ગામે જઇ રહ્યા હતા. જે દરમિયાન તળાજાના બોડકી અને ફુલસર ગામના બે વ્યાજખોર બાઇક લઇને સામે મળ્યા હતા અને ખેડૂતને તેના ટ્રેક્ટરમાંથી નીચે ઉતારી, ટ્રેક્ટર આંચકી ફરાર થઇ જતાં ખેડૂતે બંન્ને વ્યાજખોર વિરૂદ્ધ દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામે રહેતા રમેશભાઇ બાબુભાઇ વાળાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, દસેક માસ અગાઉ તેમને પૈસાની જરૂરિયાત ઉભી થતાં ફુલસર ગામના વેલાભાઇ કમાભાઇ હાડકીયાને વાત કરી હતી. જે બાદ વેલાભાઇએ ગીગાભાઇ વીજાભાઇ ભાદરકા વાળા પાસેથી તેમને પચાસ હજાર રૂપિયા ત્રણ ટકે વ્યાજે અપાવ્યા હતા. તેના બદલામાં પંચોતેર હજાર રૂપિયાના બે ચેક લખીને લીધેલ અને ત્યાર બાદ એક કોરો ચેક લઇ, પંદર ટકા વ્યાજ થશે તેમ કહીને જતા રહ્યા હતા. જે બાદ ખેડૂતે બંન્ને વ્યાજખોરને રૂપિયા આપ્યા ન હતા. ત્યારે ગઇકાલે રમેશભાઇ બાબુભાઇ વાળા તેમનું ટ્રેક્ટર લઇ ઊંચડી ગામેથી દર્શન કરી પાવઠી ગામે જતા હતા જે દરમિયાન બંન્ને વ્યાજખોર તેમને સામે મળતા, ખેડુતનું ટ્રેક્ટર થોભાવી, ટ્રેક્ટર આંચકી ફરાર થઇ જતાં રમેશભાઇ વાળાએ બોડકી ગામના ગીગા વીજાભાઇ ભાદરકા અને ફુલસર ગામના વેલા કમાભાઇ હાડકીયા નામના વ્યાજખોરો વિરૂદ્ધ દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 5:01 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:રાજ્યસભામાં PM બોલ્યા- મોહબ્બતની દુકાન મોદીની કબર ખોદવાની વાત કરે છે, આસારામના આશ્રમ પર બુલડોઝર ફરશે, ચાંદી 28 હજાર સસ્તી

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ સાથે જોડાયેલા રહ્યા. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ કેમ કહી રહી છે કે 'મોદી તારી કબર ખોદાશે'. બીજા મોટા સમાચાર આસારામના આશ્રમને લઈને છે. આના પર બુલડોઝર ચાલશે.⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી 'પરીક્ષા પે ચર્ચા' ની 9મી આવૃત્તિમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે સીધો સંવાદ કરશે. 2. NEET PG કટ ઓફ પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. અરજદારે ક્વોલિફાઈંગ કટ-ઓફ શૂન્ય અને નેગેટિવ કરવાના નિર્ણયને પડકાર્યો છે. કાલના મોટા સમાચારો 1. રાજ્યસભામાં PM બોલ્યા- કોંગ્રેસના સમયમાં ડીલ એટલે બોફોર્સ કૌભાંડ:આ મોહબ્બતની દુકાન મોદીની કબર ખોદવાની વાત કરે છે, વિપક્ષનું વોકઆઉટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવનો જવાબ આપી રહ્યા છે. સંબોધન દરમિયાન વિપક્ષે સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. વિપક્ષી નેતાઓએ માગ કરી હતી કે 'રાહુલ ગાંધીને બોલવા દેવામાં આવે'. આ બાબતે વડાપ્રધાને કટાક્ષ કરતા કહ્યું કે, ખડગેજીની ઉંમરને જોતા તેમને બેસીને સૂત્રોચ્ચાર કરવાની પરવાનગી આપવામાં આવે. ત્યારબાદ વિપક્ષે વોકઆઉટ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં 1 કલાક અને 27 મિનિટ ભાષણ આપ્યું. PM મોદીએ કહ્યું, આ કયા પ્રકારની મોહબ્બતની દુકાન છે, જે મોદીની કબર ખોદવાની વાતો કરે છે. શું આ જાહેર જીવનની મર્યાદાનું અપમાન નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 2. મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં વિસ્ફોટ, 16ના મોત:ઘણા મજૂરો ફસાયા હોવાની આશંકા, બચાવ કામગીરી ચાલુ મેઘાલયના ઈસ્ટ જૈંતિયા હિલ્સ જિલ્લામાં ગુરુવારે ગેરકાયદે કોલસાની ખાણમાં વિસ્ફોટ થયો. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 16 મજૂરોના મોત થયા. ઘણા મજૂરો હજુ પણ ખાણમાં ફસાયેલા હોવાની આશંકા છે. આ માહિતી રાજ્યના પોલીસ મહાનિર્દેશક આઈ. નોંગ્રાંગે આપી. બચાવ દળ રાહત અને શોધ અભિયાનમાં લાગેલા છે. આ દુર્ઘટના સવારે થાંગ્સ્કુ વિસ્તારમાં થઈ. પોલીસ મહાનિર્દેશકે કહ્યું, અત્યાર સુધીમાં 16 મૃતદેહો મળી આવ્યા છે. વિસ્ફોટ સમયે ખાણની અંદર કેટલા મજૂરો હતા, તે હજુ સ્પષ્ટ નથી. વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. રેપિસ્ટ આસારામનું અમદાવાદનું સરનામું વિખાઈ જશે:500 કરોડની જમીન પર બનેલા આશ્રમ પર બૂલડોઝર ફરી વળશે; 45,000 ચો.મીથી વધુ જમીન પાછી લેવા હાઇકોર્ટની મંજૂરી રેપિસ્ટ આસારામનું અમદાવાદનું સરનામું હવે વિખાઈ જશે. 500 કરોડની જમીન પર બનેલા આશ્રમ પર બૂલડોઝર ફરી વળશે. જી…હા સાબરમતીના કાંઠે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ પાસે મોટેરામાં આસારામ આશ્રમની 45,000 ચો.મીથી વધુ જમીન પાછી લેવા હાઇકોર્ટે રાજ્ય સરકારને મંજૂરી આપી દીધી છે. ગુજરાત હાઈકોર્ટે આસારામ આશ્રમ પાસેથી 45,000 ચોરસ મીટરથી વધુ વિસ્તારની જાહેર જમીન પાછી લેવા રાજ્ય સરકારના પગલાને યોગ્ય ઠેરવેલ છે. વિવાદિત જમીન અમદાવાદના મહત્વના સ્થળે આવેલી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની બાજુમાં આવેલા મોટેરાએ શહેરના રમતગમત અને શહેરી ભવિષ્યના કેન્દ્રબિંદુ તરીકે સ્થાન મેળવી લીધું છે. અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે તૈયારીઓ કરી રહ્યું છે અને લાંબા ગાળે ઓલિમ્પિક્સ માટેના સપનાઓ પોષી રહ્યું છે ત્યારે આ જમીન પાછી મળવી મહત્વપૂર્ણ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ચાંદી આજે ₹28 હજાર સસ્તી થઈ:વાયદા બજારમાં ભાવ 2.40 લાખ/કિલો પર આવ્યો; 10 ગ્રામ સોનું 3 હજાર રૂપિયા સસ્તું થઈને 1.50 લાખ થયું ગોલ્ડ અને સિલ્વર માર્કેટમાં સતત બે દિવસની તેજી પછી આજે 5 ફેબ્રુઆરીએ ઘટાડો છે. વાયદા બજાર (MCX) માં ચાંદીનો ભાવ આશરે 28 હજાર રૂપિયા (11%) ઓછો થયો છે. 1 કિલો ચાંદીનો ભાવ 2.40 લાખ રૂપિયા પર આવી ગયો છે. સોનાનો ભાવ પણ આશરે 3 હજાર રૂપિયા (2%) ઘટ્યો છે. 10 ગ્રામ સોનું 1.50 લાખ રૂપિયા પર છે. આ પહેલા 29 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી વચ્ચે ચાંદીની કિંમત 1.60 લાખ રૂપિયા ઓછી થઈ હતી. જ્યારે સોનાની કિંમતમાં 26 હજાર રૂપિયા ઓછી થઈ હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ડ્રાઈવરોને મોજ, કસ્ટમરોની ચાંદી!:આજથી શરૂ થશે 'ભારત ટેક્સી', ગૃહમંત્રી અમિત શાહ કરશે લોન્ચ; ઓલા-ઉબરની જેમ કમિશન નહીં આપવું પડે દેશની પ્રથમ સહકારી કેબ ટેક્સી સર્વિસ 'ભારત ટેક્સી' આજે લોન્ચ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીમાં તેની શરૂઆત કરશે. આ નવી સર્વિસની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ડ્રાઇવરો પાસેથી કોઈ કમિશન લેવામાં આવશે નહીં અને તે પોતે આ પ્લેટફોર્મના હિસ્સેદાર અથવા માલિક હશે. સહકારિતા મંત્રાલય અનુસાર, 'ભારત ટેક્સી'નો ઉદ્દેશ્ય ડ્રાઇવરોને ખાનગી એગ્રીગેટર કંપનીઓના મોડેલથી આઝાદી અપાવવાનો છે. ટેક્સીનો ટ્રાયલ 2 ડિસેમ્બરે દિલ્હી અને ગુજરાતના અમદાવાદ-રાજકોટમાં શરૂ કરવામાં આવ્યો હતો, જે સફળ રહ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. સુરતમાં સાડા ત્રણ વર્ષના બાળક પર 5 કૂતરા તૂટી પડ્યાં:માથામાં બે ઈંચ ઊંડા કાપા પાડી દીધા, 30 ટાંકા આવ્યાં; બે મિનિટ મોડું થયું હોત તો... સુરત શહેરમાં વધુ એક વખત શ્વાનનો આતંક જોવા મળ્યો છે. વાલક પાટિયા ખાતે ચારથી પાંચ જેટલા શ્વાનોએ બાળક ઉપર હુમલો કરતા ચકચાર મચી ગઈ હતી.ઘર પાસે જ રમી રહેલા બાળક પર શ્વાનો તૂટી પડ્યા હતા અને શરીરના જુદા જુદા અંગોમાં બચકા ભર્યા હતા. શ્વાનોના હુમલામાં ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ થયેલા બાળકને વધું સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.જ્યા હાલમાં તેની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યુ હતું. સુરત શહેરમાં અગાઉ એક પછી એક માસુમ બાળકો ઉપર શ્વાનોના હુમલાઓના ઉપરાછાપરી બનાવો બનતા પાલિકા તંત્ર સફાળે જાગી ગયું હતું અને ડોગ ફીડિંગ સ્પોટ બનાવવા સહિતની જુદી જુદી કામગીરીમાં કરવામાં આવી હતી,જોકે બાદમાં અસરકારક કામગીરી ઠપ થઈ ગઈ હતી. મહત્વનું છે કે, સુરત શહેરમાં છેલ્લા ત્રણ મહિનામાં જ 3261 લોકોને કૂતરા કરડવાના કેસ નોંધાયા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. અંગદાન પહેલા જ સુરતના બિલ્ડર તુષાર ઘેલાણીનું મોત:અગ્નિની સાક્ષીએ ફેરાને બદલે દીકરીએ પિતાને આપ્યો અગ્નિદાહ, રિવોલ્વરથી ગોળી મારી કર્યો'તો આપઘાત સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીનું અવસાન થયું. અંગદાનની તેમની ઇચ્છા હોવા છતાં હાર્ટ એટેક (કાર્ડિયાક અરેસ્ટ) આવતા માત્ર ચક્ષુદાન જ થઈ શક્યું છે. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આજે 5 ફેબ્રુઆરીએ તેમના દીકરીના લગ્નની તારીખ નક્કી કરાઈ હતી, તે દિવસે જ તેઓએ અંતિમ શ્વાસ લેતા ઘરમાં સન્નાટાનો માહોલ છવાઈ ગયો હતો. આજે બપોરે 2:30 વાગ્યે અંતિમયાત્રા તેમના નિવાસ્થાનેથી નીકળીને ઉમરા સ્મશાન ખાતે પહોંચી હતી. બંને દીકરીઓએ પિતાને કાંધ આપી હતી. ભારે હૈયે પરિવારજનો અને સગા સંબંધી સહિત મિત્રોએ વિદાય આપી હતી. તુષારભાઈની બંને દીકરીઓ પણ સમસાન ખાતે પહોંતી હતી. જોકે, અગ્નિની સાક્ષીએ ફેરા ફરવાને બદલે મોટી દીકરીએ પિતાને અગ્નિદાહ આપવો પડ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : રેલવેનો મોટો નિર્ણય:જમ્મુ-કાશ્મીરમાં 3 રેલ પ્રોજેક્ટ રોક્યા, સફરજનના 7 લાખ વૃક્ષો બચાવવાનો પ્રયાસ; સ્થાનિક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : રશિયા બોલ્યું- ભારત બીજા દેશ પાસેથી તેલ ખરીદવા માટે સ્વતંત્ર:આમાં કંઈ ખોટું કે નવું નથી, પરંતુ રશિયન તેલની ખરીદી સમાપ્ત કરવાની કોઈ માહિતી નથી વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું- વાંગચુકની અટકાયત પર વિચાર કરો:દલીલો ઉપરાંત પણ વિચારો, તેમની તબિયત સારી નથી, જેલમાં 5 મહિના થઈ ગયા છે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : થરુરના દીકરાને અમેરિકન કંપનીએ છટણીમાં કાઢ્યો:અહીં થરૂર સંસદના પગથિયાં પરથી ગબડ્યા, વોશિંગ્ટન પોસ્ટમાં છટણી; જેફ બેઝોસની કંપનીને 1500 કરોડની ખોટ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ડોલર થશે ધરાશાયી, તેની જગ્યા સોનું લેશે:US અર્થશાસ્ત્રીએ કહ્યું- ભયાનક આર્થિક સંકટના ભણકારા, દુનિયાભરની બેંકોનો ડોલરથી મોહભંગ; સોનાના રિઝર્વમાં વધારો વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : RCB બીજી વખત WPLની ચેમ્પિયન બની:6 વિકેટે જીત મેળવી, દિલ્હી સતત ચોથી ફાઈનલ હાર્યું, કેપ્ટન મંધાના-જોર્જિયાની ફિફ્ટી વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ 98 કલાક સુધી પહાડો પર દોડ્યા સૂફિયા, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ રાજસ્થાનના અજમેરના રનર સૂફિયા સૂફીએ 98 કલાક 27 મિનિટ સુધી પહાડોમાં દોડીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેઓ મનાલીથી લેહ સુધી 430 કિમી દોડ્યા. આ દરમિયાન તેમણે 8500 મીટરથી વધુનું ચઢાણ પણ કર્યું. આ તેમનો 5મો વર્લ્ડ રેકોર્ડ છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor's View: અંધારી રાત, બંધ CCTV ને અંધાધૂંધી:ગદ્દાફી વંશનું પતન, દીકરાને ઘરમાં ઘુસીને પતાવી દીધો, સત્તા અને તેલના કૂવા આડેનો કાંટો કાઢવા સિક્રેટ ઓપરેશન 2. ભાસ્કર એક્સપ્લેનર શું લોકસભામાં PM મોદીના જીવને જોખમ હતું?:સ્પીકર બિરલાએ તેમનું ભાષણ કેમ ટાળ્યું; કઈ 'અઘટિત ઘટના'નો સંકેત આપ્યો 3. બોમ્બની ધમકી, 181 મુસાફર પાસે ટીશ્યુ પર 36 વખત લખાવ્યું:હવે અક્ષરોની થશે ફોરેન્સિક તપાસ, કુવૈત-દિલ્હીની ફ્લાઇટનું 30મીએ અમદાવાદમાં થયું હતું ઇમરજન્સી લેન્ડિંગ 4. આજનું એક્સપ્લેનર:કોરિયન કલ્ચરમાં એવું શું ખાસ, જેના બાળકો પણ દીવાના; 3 બહેનોએ સુસાઈડ પહેલાં લખ્યું- કોરિયા વગર નહીં જીવી શકીએ 5. બાંગ્લાદેશથી ભાસ્કર ભારત સાથે દોસ્તી કે દુશ્મની, ચૂંટણીમાં સૌથી મોટા મુદ્દા:લૂંટેલા હથિયારોથી હિંસાનું જોખમ, હિન્દુઓને જમાતની જીતનો ડર 6. બ્લેકબોર્ડ: હું ભગવાનમાં માનતી નથી, દીકરીની જ પૂજા કરું છું:અંકિતા ભંડારીની હત્યા પછી મા-બાપ ડિપ્રેશનમાં જીવે છે; વાયરલ ઓડિયો ક્લિપના કારણે એ VVIP પર દબાણ વધ્યું 7. ભાસ્કર એક્સપ્લેનર શું વોટ્સએપ ભારતમાં બંધ થઈ જશે:પ્રાઈવસી અંગે સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી; ચોરીથી યુઝર્સનો ડેટા વેચવાનો શું છે મામલો કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ:મેષ રાશિના જાતકોને સરકારી નોકરીમાં મનપસંદ બદલીના યોગ, મકર રાશિના વિદ્યાર્થીઓ માટે શુભ દિવસ વાંચો સંપૂર્ણ રાશિફળ

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 5:00 am

શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા રજૂઆત કરાઈ:સ્પે.સંસ્કૃત પ્રાથમિક શાળા પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવા માંગ કરાઈ

ગુજરાત રાજ્યમાં હાલમાં ગુજરાતી, અંગ્રેજી, ઉર્દુ અને સિંધી માધ્યમમાં પ્રાથમિક શાળાઓ કાર્યરત છે. ત્યારે ગુજરાત રાજ્યમાં સ્પેશિયલ સંસ્કૃત પ્રાથમિક શાળા પાયલોટ પ્રોજેક્ટ તરીકે બે થી ચાર જિલ્લાઓમાં શરૂ કરવા શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણ નિયામકને રજૂઆત કરી છે. ભારતની પ્રાચીન અને જ્ઞાન પરંપરાની આધારભૂત ભાષા એવી સંસ્કૃત ભાષાનું પ્રાથમિક સ્તરેથી પ્રોત્સાહિત શિક્ષણ આપવું આજના સમયમાં આવશ્યક બન્યું છે ત્યારે નવી શિક્ષણ નીતિ 2020 મુજબ ભારતીય ભાષાઓ, જ્ઞાન પરંપરા અને સંસ્કૃતિને શિક્ષણ સાથે જોડવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. જેથી ગુજરાત રાજ્યમાં સ્પેશિયલ સંસ્કૃત પ્રાથમિક શાળા શરૂ કરવા શિક્ષણ સમિતિના ચેરમેન ડો.નિકુંજ મહેતા દ્વારા મુખ્યમંત્રી સહિતનાને રજૂઆત કરી છે. પાયલોટ પ્રોજેક્ટમાં પ્રાથમિક સ્તરે સંસ્કૃત ભાષા માધ્યમ અથવા વિશેષ વિષય રૂપે, જીસીઈઆરટી દ્વારા અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકોની રચના, સંસ્કૃત વિષયના તાલીમ પ્રાપ્ત શિક્ષકોની નિમણૂક કરી શકાય છે. પ્રાથમિક શાળાઓમાં સ્પેશિયલ સંસ્કૃત શાળા શરૂ થાય તો બાળકોમાં ભાષા કૌશલ્યનો વિકાસ થાય, પરંપરા સાથે પરિચય મળે તેમજ રાજ્યને એક નવતર અને માર્ગદર્શક શિક્ષણ મોડલ મળી શકે.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:59 am

આંગણવાડી કેન્દ્રો અપગ્રેડ કરવાની કામગીરી હાથ ધરાઈ:44 આંગણવાડી કેન્દ્ર અપગ્રેડ તો 37માં રિપેરીંગ હાથ ધરાયુ

ભાવનગર કોર્પોરેશન દ્વારા હાલમાં 44 આંગણવાડી કેન્દ્રો અપગ્રેડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. તેમજ 37 આંગણવાડી કેન્દ્રોમાં રીપેરીંગનું કાર્ય કરવામાં આવેલ છે. ભાવનગર કોર્પોરેશનની ઘણી આંગણવાડીઓ જર્જરીત થઈ ગઈ છે જેથી તેની મજબૂતાઈ વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે. ઘણા આંગણવાડી કેન્દ્રો નિર્માણ પામ્યાના ગણતરીના વર્ષોમાં જ જર્જરિત થઈ ગઈ છે તે પણ એક વાસ્તવિકતા છે. કોર્પોરેશનમાં 0 થી 6 વર્ષના બાળકો, સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ તથા કિશોરીઓ માટે આરોગ્ય. પોષણ તથા પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે મહત્વની કામગીરી આંગણવાડી કેન્દ્રોનાં માધ્યમથી કરવામાં આવે છે. ભાવનગર કોર્પોરશનનાં તમામ 316 આંગાણવાડી કેન્દ્રોને પોતાનું સુવિધાયુક્ત મકાન ઉપલબ્ધ થાય તે માટે ભાવનગર કોર્પોરેશન દ્વારા હાલ શહેરમાં 222 પોતાના મકાન ધરાવતા એવા આંગણવાડી કેન્દ્રોની હાલ માળખાકીય સુવિધાનું સંરક્ષણ તથા જર્જરિત થતા અટકાવવા હેતુસર કેન્દ્રોની વાર્ષિક મરામત, જાળવણી તથા રીનોવેશન માટે જોગવાઈ કરવામાં આવેલ છે. આંગણવાડી કેન્દ્રોમાં હાલની માળખાકીય સુવિધામાં સુધારો કરવા માટે ભાવનગર કોર્પોરેશનમાં 44 આંગણવાડી કેન્દ્રો અપગ્રેડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. 37 આંગણવાડી કેન્દ્રોમાં રીપેરીંગનું કાર્ય કરવામાં આવેલ છે. આ ઉપરાંત કોર્પોરેશનની ગ્રાન્ટમાંથી 87 આંગણવાડી કેન્દ્રોને સ્માર્ટ આગણવાડી કેન્દ્રો બનાવવાની કામગીરી કાર્યરત છે.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:58 am

કર વ્યવસ્થામાં ડિજિટલ દિશા તરફ પ્રયાણ:GST પોર્ટલમાં નોટિસ - ઓર્ડરનું એકીકૃત ડેશબોર્ડ

ભારતના પરોક્ષ કર વ્યવસ્થામાં ડિજિટલ દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરતાં, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) પોર્ટલે કરદાતાઓ માટે ઉપયોગી અને સરળ એવા નવા અપડેટ્સ રજૂ કર્યા છે. આ અપડેટ્સનો મુખ્ય ઉદ્દેશ્ય પાલન પ્રક્રિયાને વધુ સરળ બનાવવાનો, પારદર્શિતા વધારવાનો અને વ્યવસાયો પરનો વહીવટી બોજ ઘટાડવાનો છે. સરકાર દ્વારા GST ઇકોસિસ્ટમને આધુનિક બનાવવા માટે હાથ ધરવામાં આવેલા સતત પ્રયાસોનો આ એક મહત્વપૂર્ણ ભાગ ગણાય છે. GST પોર્ટલમાં થયેલા સૌથી મહત્વના ફેરફારમાં વિભાગીય નોટિસો અને ઓર્ડર્સને હવે એક જ સંકલિત વિંડોમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. અગાઉ કરદાતાઓને નોટિસ, ઓર્ડર અથવા અન્ય સૂચનાઓ જોવા માટે પોર્ટલના અલગ-અલગ ટેબ્સમાં જવું પડતું હતું, જેના કારણે ઘણી વખત ગેરસમજ ઊભી થતી હતી અને મહત્વપૂર્ણ નોટિસ પર સમયસર પ્રતિભાવ ન મળવાની શક્યતા રહેતી હતી. નવા એકીકૃત ઇન્ટરફેસથી નોંધાયેલ કરદાતાઓ હવે તમામ વિભાગીય સંદેશાવ્યવહાર સરળતાથી એક જ સ્થળે જોઈ શકશે, તેની સમીક્ષા કરી શકશે અને ઝડપી પ્રતિસાદ આપી શકશે. આ પગલાથી પાલન ન થવાની શક્યતા અને દંડનો જોખમ ઘટાડવામાં મદદ મળશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC)ના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ડિજિટલ સુધારાઓ GST 2.0 તરીકે ઓળખાતા વ્યાપક સુધારા કાર્યક્રમનો ભાગ છે. GST 2.0 હેઠળ સરળ કર સ્લેબ, વધુ આધુનિક ડિજિટલ ટૂલ્સ અને મજબૂત ડેટા ઇન્ટિગ્રેશન દ્વારા કરદાતાઓ અને અધિકારીઓ બંનેને લાભ પહોંચાડવાનો હેતુ રાખવામાં આવ્યો છે. ઇન્ટરફેસ એકીકરણ સિવાય, GST પોર્ટલ પર અન્ય પણ અનેક સુધારાઓ અમલમાં આવ્યા છે. તેમાં રિટર્ન ફાઇલિંગ દરમિયાન TDS અને TCS ક્રેડિટનું સરળ સંચાલન, નોંધણી બાદ વૈકલ્પિક બેંક વિગતો અપડેટ કરવાની સુવિધા, તેમજ શો-કોઝ નોટિસનો જવાબ આપવા માટે વધુ સરળ પ્રક્રિયાનો સમાવેશ થાય છે. નિષ્ણાતોના મતે, આ સુધારાઓ વ્યવસાયિકો માટે સમય અને સંસાધનો બચાવનાર સાબિત થશે. છતાં પણ, કરદાતાઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ GST પોર્ટલની નિયમિત તપાસ કરતા રહે, કારણ કે GSTR-3A અને DRC શ્રેણી હેઠળ રિટર્નમાં વિસંગતતાઓ સંબંધિત નોટિસો સમય-સંવેદનશીલ હોય છે. સાથે જ સરકારે કરદાતાઓને માત્ર સત્તાવાર GST પોર્ટલ પરથી મળતી માહિતી પર વિશ્વાસ રાખવા અને તૃતીય-પક્ષ પ્લેટફોર્મ પર ફેલાતી ખોટી માહિતીથી સાવચેત રહેવા ચેતવણી આપી છે. ભાસ્કર એક્સપર્ટસુધારા નાના અને મધ્યમ ઉદ્યોગોને લાભ આપશેએકીકૃત નોટિસ વિન્ડો ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો (SMEs) ને લાભ આપશે, જે ઘણીવાર વૈધાનિક સંદેશાવ્યવહાર માટે બહુવિધ ઇન્ટરફેસ અને ટેબ્સ નેવિગેટ કરવામાં સંઘર્ષ કરે છે. નોટિસનું એકત્રીકરણ માત્ર સમય બચાવતું નથી પરંતુ કરદાતાઓ માટે વધુ સારી પાલન દેખરેખ પણ સુનિશ્ચિત કરે છે. - સુનય જરીવાલા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:57 am

66 વર્ષ જૂના અને જર્જરિત શાક માર્કેટનું થશે નવીનીકરણ:500થી વધુ મોલ ટાઈપની દુકાનો સાથે બનશે શાકમાર્કેટ

ભાવનગર શહેરની મધ્યમાં શહેરની આસપાસના ગામોના હટાણા સમાન ગંગાજળિયા તળાવ શાક માર્કેટનું બિલ્ડીંગ 66 વર્ષ જૂનું છે અને સાવ જર્જરીત અવસ્થામાં થઈ ગયું છે. કોર્પોરેશનના બજેટમાં નવા વેજીટેબલ માર્કેટ માટે ઘણીવાર જોગવાઈઓ થઈ છે પરંતુ કોઈ નક્કર આયોજન ન હતું. ત્યારે હવે આગામી દિવસોમાં 507 દુકાનો અને ગોડાઉનો સાથેનું ગંગાજળિયા તળાવ વિસ્તારમાં નવું શોપિંગ સેન્ટર અને વેજીટેબલ માર્કેટ બનાવવા કાર્યવાહી હાથ ધરી છે. 66 વર્ષ જૂની શાક માર્કેટ પડું પડું થઈ રહી છે છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી અને હવે છેક કન્સલ્ટન્ટ નિયુક્ત કરવામાં આવશે. જો આયોજન મુજબ નવીનીકરણ કરવામાં આવશે તો ભાવનગરમાં સર્વપ્રથમ શોપિંગ મોલ ટાઈપનું અધ્યતન શાક માર્કેટ બનશે. ભાવનગર કોર્પોરેશન જર્જરીત બિલ્ડીંગોને નોટિસ આપી ભયમુક્ત કરે છે પરંતુ ખુદ કોર્પોરેશનની માલિકીનો જ 66 વર્ષ જૂનું ગંગાજળિયા તળાવ શાક માર્કેટ અતિશય જર્જરીત અવસ્થામાં છે છતાં તેના નવીનીકરણનું આયોજન દર વર્ષે બજેટમાં લેવામાં આવે છે પરંતુ હજુ સુધી કોઈ પરિણામલક્ષી આયોજન થયું નથી. ત્યારે હવે ગંગાજળીયા તળાવ વિસ્તારમાં નવુ શોપીંગ સેન્ટર તથા વેજીટેબલ માર્કેટ બનાવવા કન્સલ્ટન્ટ નિમણૂંક કરવા માટે સ્ટેન્ડીંગ કમિટી કક્ષાએથી પરામર્શ આપવામાં આવેલ હોવાનું તથા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રીયા કરવામાં આવેલ છે જે ટુંક જ સમયમાં પુર્ણ થનાર હોવાનું સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડીયાએ જણાવ્યું છે. શહેરનાં હાર્દ સમાન ગંગાજળીયા તળાવ વિસ્તારમાં શોપીંગ સેન્ટર તથા વેજીટેબલ માર્કેટ અંદાજે વર્ષ 1959-60ના બનાવવામાં આવેલ શોપીંગ સેન્ટર અને વેજીટેબલ માર્કેટ ડિસ્મેન્ટલ કરી નવું નિર્માણ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. જે માટે લેટેસ્ટ પ્લાનીંગ અને ડીઝાઇન તૈયાર કરાવવા માટે નિષ્ણાંત કન્સલ્ટન્ટ નિયુક્ત કરવા માટે હાલ ટેન્ડર પ્રક્રીયા હાથ ધરેલ છે. પ્રોજેક્ટની ડીઝાઇન ફાઇનલ થવાથી અંદાજીત 154 થી વધુ હયાત એ/બી/સી ગ્રૂપની ગામ તળાવની દુકાનો તથા અંદાજીત 28 ગંગાજળીયા ગોડાઉનની દુકાનો તથા અંદાજીત 25 શાક માર્કેટ બહારની દુકાનો નવી બનાવવામાં આવશે. તેમજ અંદાજીત 300 કરતા વધુ શાક માર્કેટ સ્ટોલ નવા બનાવવામાં આવનાર છે. નવું શોપીંગ માર્કેટ બનવાથી ધંધાદારીઓ તથા વેપારીઓ તેમજ શેહરીજનોને સીધો ફાયદો થશે. પાર્કિંગનો અભાવ, વાહનો થાય છે ટોઈંગશાક માર્કેટ વિસ્તારમાં લગભગ દોઢ થી બે લાખ લોકો સવારથી સાંજ સુધી ખરીદી કરવા આવે છે ત્યારે શાક માર્કેટની અંદર તેમજ બહાર બહુ ગીર્દી રહેતી હોય છે. પાર્કિંગના અભાવે શાકભાજી ખરીદી કરવા આવેલા લોકો શાક માર્કેટની બહાર વાહનો પાર્ક કરે તો વાહન ટોઈંગ થઈ જાય છે. અને 500 થી 600 નો દંડ ભરવો પડે છે. 150 કરોડની શાક માર્કેટ માટે અર્બન ચેલેન્જ ફંડમાં પ્રપોઝલગંગાજળિયા તળાવ શાક માર્કેટને તોડી પાડી અત્યાધુનિક સુવિધા સાથે નવું બનાવવા માટે અંદાજે 150 કરોડનો ખર્ચની શક્યતા છે. પરંતુ તેની માટે રાજ્ય સરકાર ગ્રાન્ટ ફાળવતી નથી. જેથી કોર્પોરેશન દ્વારા કેન્દ્ર સરકારના અર્બન ચેલેન્જ ફંડમાં પ્રપોઝલ મૂકી છે. કુલ ખર્ચના 25 ટકા રકમ ફંડમાંથી મળવાપાત્ર છે. લોઅર રેટથી નહી QCBS દ્વારા કન્સલ્ટન્ટ નિમાશેકોર્પોરેશન દ્વારા સામાન્ય રીતે કોઈપણ કામના ટેન્ડરમાં સૌથી ઓછા જે એજન્સીના ભાવ હોય તેમને કામ આપવામાં આવે છે પરંતુ ગંગાજળિયા તળાવ નવીનીકરણમાં ક્વોલિટી એન્ડ કોસ્ટ બેજ સિલેક્શન પદ્ધતિ દ્વારા કન્સલ્ટન્ટની નિમણૂક કરાશે. જેમાં એજન્સી દ્વારા રજૂ થનાર પ્રેઝન્ટેશન અને ઓછા ભાવ બંનેના માર્ક મુકાશે.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:53 am

વીજ ચોરી ઝડપાઈ:ભાવનગર અને ઘોઘા તાલુકામાંથી ઝડપાઇ રૂ.38.55 લાખની વીજચોરી

GUVNLની કોર્પોરેટ ડ્રાઈવમાં PGVCL ભાવનગર સર્કલમાં ચોથા દિવસે ભાવનગર સિટી-2 ડિવિઝન નીચેના ઘોઘા અને ભાવનગર તાલુકાના વિસ્તારોમાં વીજ ચેકિંગના દરોડા પાડવામાં આવ્યા હતા. PGVCLના ભાવનગર સિટી-2 ડિવિઝન નીચે આવતા ચિત્રા, ઘોઘા અને મામસા સબ ડિવિઝન નીચેના ગામોમાં વીજ ચેકિંગની કડક કાર્યવાહી સાથે રૂ.38.55 લાખની વીજચોરી પકડી પાડવામાં આવી હતી. વીજ ચેકિંગના દરોડામાં વિવિધ શ્રેણીના મળી કુલ 520 વીજ જોડાણની તપાસમાં 97 ગ્રાહકોને વીજચોરી કરતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. ભાવનગર સિટી-2 ડિવિઝનમાં વીજ ચેકિંગના દરોડામાં ઘોઘા અને ભાવનગર તાલુકામાં આવતા ભાવનગર શહેરના હાદાનગર શહેરી વિસ્તાર ઉપરાંત ઘોઘા, કોળિયાક, ભૂતેશ્વર, હાથબ, થોરડી, કંટાળા અને ગોરીયાળી ગામમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. ઘોઘા અને ભાવનગર તાલુકામાં વીજ ચેકિંગની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 12 એસ.આર.પી. જવાન, 20 GUVNL પોલીસ અને 5 લોકલ પોલીસનો કાફલો તૈનાત કરાયો હતો. જોકે તેમ છતાં ઘોઘા તાલુકાના ગોરીયાળી ગામે વીજ ચેકિંગની ટુકડી પર હુમલો થતા ભાગદોડ મચી ગઈ હતી. ઘોઘા તાલુકાના ગોરીયાળી ગામે ચેકિંગ ટીમ પર હુમલોPGVCL મામસા સબ ડિવિઝન નીચેના ઘોઘા તાલુકાના ગોરીયાળી ગામે સવારે 7:30 કલાકે વીજ ચેકિંગ કરવા ગયેલી ટીમ પર ત્રણ સખ્શોએ હુમલો કરતા ભાગદોડ મચી ગઈ હતી. વીજ ચેકિંગના દરોડાની કાર્યવાહીમાં કોર્પોરેટની ટીમમાં અમરેલી PGVCLમાં ફરજ બજાવતા નાયબ ઈજનેર હેમાંગભાઈ આર. મહેતાએ ઘોઘા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર ગોરીયાળી ગામે ચેકિંગ દરમિયાન એક મકાનમાં ગેરકાયદેસર વીજ જોડાણ લીધું હોવાનું જણાતા મકાનમાં જઈ હાજર મહિલાઓને મકાન માલીક અંગે પુછપરછ કરી હતી. આ દરમિયાન આવી ચડેલા રૈયાભાઈ મોહનભાઇ પરમારે ઘરનો મુખ્ય દરવાજો બંધ કરી પ્લાસ્ટિકના પાઇપથી હુમલો કર્યો હતો. તેમજ ઘટના સ્થળે આવેલા ગોરધનભાઈ મોહનભાઇ પરમાર અને અશ્વિનભાઈ જીવાભાઈ બારૈયાએ PGVCLના કર્મચારીઓ સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી. જેનું વિડીયો રેકોર્ડિંગ ઉતારતા PGVCLના લાઈન મેન હિમાંશુ પી. જાનીને લાફા અને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ મામલે PGVCLના નાયબ ઈજનેર હેમાંગભાઈ આર. મહેતાએ ત્રણેય સખ્શો વિરુદ્ધ હુમલો અને બોલાચાલી કરી ફરજમાં રૂકાવટ કર્યાની ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ત્યારે આ મામલે ઘોઘા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:50 am

કરુણાંતિકા સર્જાઈ:ઉનમાં માતા પુત્રીને સ્તનપાન કરાવતી હતી ને 2 વર્ષનો પુત્ર ડોલમાં ડૂબી ગયો

ઉનમાં રમતા રમતા બાથરૂમમાં પાણી ભરેલી ડોલમાં પડી જતા ડૂબી જવાથી બે વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. યુપીના વતની અને ઉન અલીફ નગર ખાતે રહેતા રહેમતઅલી શેખના પત્ની નાની દિકરીને સ્તનપાન કરાવતા હતા. ત્યારે તેમનો 2 વર્ષીય પુત્ર રેહાન રમતા રમતા બાથરૂમમાં પહોચી ગયો હતો અને ત્યાં પાણી ભરેલી ડોલમાં પાણી જોવા જતા ઉંધા માથે ડોલમાં પડી જતા ડૂબી ગયો હતો. પુત્ર ડોલમાં ડૂબ્યાની ખબર પડતા તેને બહાર કાઢી તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ભેસ્તાન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:46 am

ઠગાઈ:વેસુના વેપારીને જમીનની શરત ફેરવવાના નામે દોઢ કરોડનો ચૂનો

વેસુમાં રેસ્ટોરન્ટ ચલાવતા વેપારીએ 20% ની ભાગીદારીના ચક્કરમાં દોઢ કરોડની રકમ ગુમાવી છે. બંને ઠગે ગોડાદરામાં નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવવા માટે વેપારીને ભાગીદાર બનાવવાના સપના બતાવ્યા હતા. વેપારીએ 1.81 કરોડની રકમ આપી જે પૈકી 30 લાખ જ પરત કર્યા હતા. વેપારી જયરાજસિંહ અટોદરીયાએ ફરિયાદ આપતાં અલથાણ પોલીસે રાજ મિશ્રા (રહે, અવધ કોપર સ્ટોન. ડુમસ રોડ) અને સંદીપ મિશ્રા (રહે, લક્ષ્મણ નગર, ગોડાદરા) સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. પોલીસે સંદીપ મિશ્રાની ધરપકડ કરી છે. જ્યારે રાજ વિદેશમાં છે. બંને ઠગ માર્કેટમાં કાપડનો ધંધો કરે છે. વેસુ કેનાલ રોડ પર શ્રીનિકેતન એપાર્ટમેન્ટમાં રહેતા અને રેસ્ટોરન્ટ ચલાવતા જ્યરાજસિંહની રાજ અને સંદીપ સાથે મિત્રતા થઈ હતી. મિત્રતામાં બંનેએ ગોડાદરામાં નવી શરતની જમીન બતાવી હતી. જે જૂની શરતમાં ફેરવવા 20 ટકાનો ભાગીદાર બનાવવાની વાત કરી હતી. આથી વેપારીએ 35 લાખ બેંક દ્રારા, 1.20 કરોડ રોકડા અને સંદીપ મિશ્રાએ 27.50 લાખના ઘરેણાં ખરીદ્યાં હતા. બંનેએ વેપારી પાસેથી 1.81 કરોડની રકમનું રોકાણ કરાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:46 am

પોલીસ કાર્યવાહી:વરાછાની પાટીદાર પરિણીતાના આપઘાત કેસમાં પતિ સહિત 5ની ધરપકડ, પિયરથી કંઈ લાવી નથી કહી ટોર્ચર કરતા હતા

વરાછામાં પતિ સાથે ઝઘડા બાદ પાટીદાર સમાજની પરિણીતાએ ઝેર પી આપઘાત કરી લીધો હતો. આ મામલે પરિણીતાના ભાઈએ ફરિયાદ આપતા પોલીસે પતિ સુનિલ વાઘાણી, નણંદ સંગીતા વાઘાણી, મિત્ર કમલેશ છગન ધોરાજીયા(,મંગલ વિહાર રો-હાઉસ, અડાજણ), સસરા મોહન ઝવેર વાઘાણી અને સાસુ ગૌરીબેન વાઘાણી સામે આત્મહત્યાની દુષ્પેરણાનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે પતિ સહિત પાંચેયની ધરપકડ કરી લીધી છે. વધુમાં પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં પરિણીતાને સાસરીયાઓ બાળકોના જન્મ વખતથી પીયર ખાતેથી કંઈ લાવી નથી એમ કહીને સતત ટોર્ચરીંગ કરતા હતા. એટલું જ નહિ તેને પીયરમાં પણ મોકલતા ન હતા. ઉપરથી ફોન પર પિયરજનો સાથે વાત પણ કરવા દેતા ન હતા. પતિ તથા સાસરિયાઓના સતત માનસિક ત્રાસને કારણે પરિણીતાએ ઝેર પી આપઘાત કર્યો હતો. વરાછા એેફિલ ટાવરમાં રહેતી 44 વર્ષીય પરિણીતા નામે સીમાનો પતિ જોડે પહેલી ફેબુઆરીએ ઝગડો થયો હતો. ત્યાર બાદ સીમાએ સાંજે બેડરૂમનો દરવાજો બંધ કરી ઝેરી પાઉડર પી લીધો હતો. મોડે સુધી બેડરૂમનો દરવાજો ખખડાવવા છતાં ન ખોલતા પતિ અને નાના દીકરાએ દરવાજો તોડી સીમાને ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ટૂંકી સારવારબાદ મોત થયું હતું.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:46 am

સાયબર સિક્યુરિટી:એલર્ટ, પેટર્ન અને જોખમી માહિતીના ઝડપી વિનિમયથી સાયબર ફ્રોડમાં રીકવરી વધારશે

અત્યાર સુધી ‘સોશિયલ નેટવર્ક’ માણસો માટેનું માધ્યમ હતું. જ્યાં લોકો પોતાના ફોટા, વિચારો અને કમેન્ટ્સ શેર કરે છે. પરંતુ સાયબર ગુનાઓ જ્યારે મશીનની ઝડપે થાય છે, ત્યારે તેની તપાસ પણ મશીનની ઝડપે થવી જરૂરી બને છે. આ જ વિચારમાંથી જન્મ્યું છે ‘મોલ્ટબૂક’. જે AI માટેનું સોશિયલ નેટવર્ક છે. જ્યાં AI સિસ્ટમો એકબીજા સાથે માહિતી શેર કરીને જોખમોને ઝડપથી ઓળખી શકે છે. આ અંગે સાઇબર એક્સપર્ટ ડો. સ્નેહલ વકીલે વધુ માહિતી આપતા જણાવ્યું કે... કાયદા અને માનવીય નિયંત્રણ જરૂરીAI સહાયક સાધન છે, અંતિમ નિર્ણય માનવી દ્વારા જ લેવો જોઈએ. તેથી મોલ્ટબૂક જેવી સિસ્ટમમાં માનવીય નિયંત્રણ અનિવાર્ય છે. મોલ્ટબૂકનો યોગ્ય ડેટા સુરક્ષા, કાયદાકીય નિયંત્રણ અને માનવીય દેખરેખ સાથે ઉપયોગ કરવામાં આવે, તો વૈશ્વિક સ્તરે સાયબર ગુનાઓ સામે વધુ અસરકારક લડત શક્ય છે. હાલમાં સુરત સહિત ભારતભરમાં બેન્કો આઈ-બેઝ્ડ ફ્રૉડ મોનીટરીંગ સિસ્ટમ્સ, સાયબર સેલ પેટર્ન એનાલિસીસ ટૂલ્સનો ઉપયોગ કરે છે. જેમાં FIU, જીએસટી , RBI ફ્રેમવર્ક હેઠળ એલર્ટ્સ એક્સ્ચેન્જ થાય છે. સૂરતમાં સાયબર ફ્રૉડ સામે AI ટુલ્સ તો વપરાય છે, પરંતુ સિટી લેવેલ AI-ટુ-AI નેટવર્કીંગ હજી લાગુ થયું નથી. ફાયદાસાયબર ગુનાઓમાં ઝડપી કાર્યવાહી, આંતરરાષ્ટ્રીય સહકાર વધુ સરળ, મ્યુલ એકાઉન્ટ અને ગેંગની ઝડપી ઓળખ, તપાસનો સમય અને ખર્ચમાં બચત, ડિજિટલ પુરાવા મજબૂત બને, આ ટેકનોલોજી પોલીસ ડિપાર્ટમેન્ટ માટે ઉપયોગી સાબિત થશે. નુકશાનડેટા શેરિંગને કારણે પ્રાઈવસી અને ડેટા લીકેજનો ખતરો, AI Biasને કારણે ખોટી ઓળખની શક્યતા, મશીન પર અતિનિર્ભરતા, અલગ-અલગ દેશોના કાયદાના કારણે કાયદાકીય જટિલતા. મોલ્ટબૂક પ્લેટફોર્મ શું છે?મોલ્ટબૂક એક AI-ટુ-AI ડિજિટલ નેટવર્ક છે, જેમાં વિવિધ બેંકો, ફાઇનાન્શિયલ સંસ્થાઓ અને સુરક્ષા એજન્સીઓની AI સિસ્ટમો જોડાઈને શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન, ફ્રોડ પેટર્ન અને સાયબર જોખમ અંગે રીયલ-ટાઈમ એલર્ટ અને ડેટા શેરિંગ કરે છે. અહીં લાઈક-કોમેન્ટ નથી, પરંતુ એલર્ટ, પેટર્ન અને જોખમની માહિતીનું ઝડપી વિનિમય થાય છે. કેવી રીતે કામ કરે છે : જો ભારતમાં એક સાથે અનેક ખાતાઓમાંથી હૉંગકૉંગ માટે શંકાસ્પદ ટ્રાન્સફર શરૂ થાય, તો ભારતીય બેંકની AI તરત એલર્ટ જનરેટ કરે છે. આ એલર્ટ મોલ્ટબૂક નેટવર્ક મારફતે અન્ય દેશોની બેંકો સુધી પહોંચે છે, ત્યા આ પેટર્નને ઓળખીને સંબંધિત ખાતાઓને ફ્રીઝ કરી શકાય છે. પરિણામે નુકસાન ઓછું થાય છે અને રીકવરીની શક્યતા વધે છે.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:42 am

'સિક્રેટ ઓફ હેલ્થ' વિષય ઉપર આરોગ્ય સેશન:ગરમ તેલમાં રાઇ નાખવાથી તેલના ફેટી એસિડ ધટે છે

વરાછા સ્થિત જેડી ગાબાણી લાઇબ્રેરીમાં ‘સિક્રેટ ઓફ હેલ્થ’ વિષય પર આરોગ્ય જાગૃતિ સેશનનું આયોજન કરાયું હતું. આ સેશનમાં ડો. સુરજ સાવજે સ્વાસ્થ્ય જાળવવા જરૂરી ખોરાક, રોજિંદી આદતો અને બીમારી માટેની હોમ રેમેડીની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે બજારમાં ઉપલબ્ધ ફળોમાં પેસ્ટિસાઇડનું પ્રમાણ વધારે હોય છે, તેથી પરંપરાગત ફળો ખાવા શરીર માટે વધુ ફાયદાકારક છે. અરડૂસીના પાનમાં કેન્સર વિરોધી તત્વો હોય છે. જ્યારે હળદરમાં રહેલું કર્ક્યુમીન શરીરને ઘણી બીમારીઓ સામે રક્ષણ આપે છે. રાઈમાં ક્રોમિયમ તત્વ હોય છે. રાઇને ગરમ તેલમાં નાખવાથી તેલના ટ્રાન્સફેટી એસિડમાં ધટાડો થાય છે.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:41 am

આનંદમઠે દર્શકોને દેશભક્તિના રંગમાં રંગી દીધા:આઠ મહિનાની મહેનતથી સાકાર થયેલ દેશભક્તિનું નાટક એટલે સંગીત આનંદમઠ

જીવનભારતી રંગભવન ખાતે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા આયોજિત ‘ભારત રંગ મહોત્સવ’ના બીજા દિવસે પુણેના કોલાજ ક્રિએશન દ્વારા પ્રસ્તુત કરાયેલ નાટક ‘સંગીત આનંદમઠ’એ દર્શકોને દેશભક્તિના રંગમાં રંગી દીધા હતા. રવિન્દ્ર સાતપુતેના દિગ્દર્શન હેઠળ અને વિનિતા તેલંગ દ્વારા લખાયેલ આ સંગીતમય નાટક બંકિમચંદ્ર ચટોપાધ્યાયની પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથા ‘આનંદમઠ’ પર આધારિત છે. આજે જાણીતા ફિલ્મ કલાકાર રાજીવ વર્મા દિગ્દર્શિત હિન્દી નાટક ‘ચોથી સિગારેટ’ની પ્રસ્તુતિ સાંજે 8.30 કલાકે કરાશે. 22 ગીતો અને લાઈવ સંગીતથી સજ્જ 3 કલાકનું પ્રભાવશાળી નાટકઆ નાટકની વિશેષતા એ રહી કે તેમાં કુલ 22 ગીતો, મંચ પર 32 કલાકારો, લાઈવ સંગીત તથા વાર્તાના પ્રવાહને અનુરૂપ 40 જેટલા વિવિધ સ્થળોના સેટ્સ રચવામાં આવ્યા હતા. જેની ભાષા ભલે મરાઠી હતી, પરંતુ સમગ્ર નાટકમાં વહેતો સુર એક જ હતો જે છે દેશભક્તિનો. નાટકના દિગ્દર્શક રવિન્દ્ર સાતપુતેએ જણાવ્યું હતું કે ‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યે આ નાટકની રચના કરવામાં આવી છે. આ નાટકે મહારાષ્ટ્ર સંગીત નાટ્ય અકાદમીની સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. નાટક તૈયાર કરવામાં લગભગ 8 મહિનાનો સમય લાગ્યો હતો. મૂળ સાડા ત્રણ કલાક લાંબા નાટકને બાદમાં સંપાદન કરીને તેને આશરે ત્રણ કલાકનું બનાવવામાં આવ્યું છે. આનંદમઠ પર અગાઉ અનેક નાટકો અને ફિલ્મો પણ બની ચૂકી છે, પરંતુ કંઈક નવું અને અલગ રજૂ કરવાનો ઉદ્દેશ રાખીને આ પ્રસ્તુતિમાં સંગીતને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યું છે. નાટકમાં સમાવાયેલ 22 ગીતોને ખાસ આ પ્રસ્તુતિ માટે નવા લખવામાં આવ્યા છે, જે સમગ્ર નાટ્યઅનુભવને વધુ પ્રભાવશાળી બનાવે છે.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:39 am

2 કોર્સના નામ બદલ્યા:B.Sc. MLT હવે BMLS અને ફૂડ સાયન્સ હવે BND તરીકે ઓળખાશે

નર્મદ યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 થી મેડિકલ ટેકનોલોજી અને હોમસાયન્સ ફેકલ્ટીના અભ્યાસક્રમોમાં ઐતિહાસિક ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નેશનલ કમિશન ફોર એલાઈડ એન્ડ હેલ્થકેર પ્રોફેશન (NCAHC) ના નવા નિયમોને આધારે હવે પરંપરાગત ડિગ્રીઓના નામ બદલીને તેને આંતરરાષ્ટ્રીય સ્તરનું પ્રોફેશનલ માળખું આપવામાં આવ્યું છે. જેમાં મેડિકલ ટેકનોલોજીમાં અત્યાર સુધી જે B.Sc. MLT તરીકે ઓળખાતું હતું, તે હવે BMLS એટલે કે બેચલર ઓફ મેડિકલ લેબોરેટરી સાયન્સ ઓળખાશે. હોમસાયન્સમાં બી.એસસી. ફૂડ સાયન્સ એન્ડ ન્યુટ્રિશનના સ્થાને હવે BND એટલે કે બેચલર ઓફ ન્યુટ્રિશન એન્ડ ડાયેટિટિક્સથી ઓળખાશે. યુનિવર્સિટીની અભ્યાસ સમિતિના ઠરાવ મુજબ આ ફેરફાર વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો છે. મારા કામની વાત આ ફાયદો વિદ્યાર્થીઓને મળશે

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:35 am

નોકરી ન્યુઝ:ગૌણ સેવા મંડળ રાજ્યમાં ક્લાસ-3 માટે 5370 જગ્યાઓ ભરશે, પગાર 40 હજાર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે રાજ્યના લાખો શિક્ષિત બેરોજગારો માટે રોજગારીનો પિટારો ખોલ્યો છે. મંડળ દ્વારા ક્લાસ-3ની વિવિધ સંવર્ગની 5370 પોસ્ટ પર ભરતીની જાહેરાત કરી છે. 20મી ફેબ્રુઆરીએ રાતના 11:59 સુધીમાં https;//oj as.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરી શકાશે. અરજી કરતી વખતે પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ અને એલસી સહિતના તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ ટ્સ પાસે રાખવાના રહેશે. જો એપ્લિકેશનમાં ખોટી વિગત ભરાશે તો અરજી રદ થઈ શકે છે. ખાસ વાત એ છે કે પરીક્ષા અને ભરતી અંગેની તમામ સૂચનાઓ ઉમેદવારોને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS દ્વારા આપવામાં આવશે. ગ્રુપ-A - વર્ણનાત્મક સવાલો પૂછાશે ગ્રુપ-B - હેતુલક્ષી - એમસીક્યૂ ગોખણપટ્ટી નહીં સ્માર્ટવર્કથી જ સફળતાનિષ્ણાત હર્ષ પટેલ કહે છે કે હવે પ્રાથમિક પરીક્ષા માત્ર એક ‘ગેટ-પાસ’ (સ્ક્રીનિંગ ટેસ્ટ) છે. તેના ગુણ મેરિટમાં ગણાવાના નથી, એટલે કે અહીં તમારો ટાર્ગેટ માત્ર લિસ્ટમાં સ્થાન મેળવવાનો હોવો જોઈએ. 120 મિનિટમાં 150 પ્રશ્નો અને સાથે 0.25 નેગેટિવ માર્કિંગનું જોખમ! આનો સીધો અર્થ એ છે કે હવે આડેધડ ‘તુક્કાબાજી’ કરવા જશો તો મેદાનની બહાર ફેંકાઈ જશો. નિર્ધારિત સિલેબસ મુજબ ચોકસાઈપૂર્વક મહેનત કરો. ગ્રુપ-A માટે જો તમે અધિકારી બનવા માંગતા હોવ, તો તમારે 300 માર્કસની મુખ્ય પરીક્ષામાં ગુજરાતી, અંગ્રેજી અને જનરલ સ્ટડીઝમાં ‘વર્ણનાત્મક લેખન’નો કસબ કેળવવો પડશે.ગ્રુપ-B માટે અહીં 200 માર્કસના MCQ આધારિત પ્રશ્નો હશે.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:33 am

મહિલા ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન મળ્યું:મહિલાઓને આત્મનિર્ભર બનાવા માટે સ્ટાર્ટઅપનું માર્ગદર્શન અપાયું

અખિલ ભારત પદ્મશાળી સંઘમ અને ગુજરાત પ્રાંત પદ્મશાળી સંઘમના માર્ગદર્શન અને સહયોગથી મહિલા ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે મહિલાઓને પોતાનો સ્ટાર્ટઅપ વ્યવસાય શરૂ કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આરોગ્ય સંબંધિત માહિતી તથા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને તેના લાભોની સમજ આપવામાં આવી હતી. મહિલાઓમાં આત્મનિર્ભર બનવાની ભાવના મજબૂત બની અને સમાજમાં મહિલા ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન મળ્યું હોવાનું આયોજકોએ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:31 am

ગ્રીન સ્ટીલ ટેક્સોનોમી:આર્સેલર મિત્તલ નિપ્પોનને કેન્દ્રનું પ્રમાણપત્ર

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા સ્ટીલ મંત્રાલયની નવી ગ્રીન સ્ટીલ ટેક્સોનોમી હેઠળ ગ્રીન સ્ટીલ પ્રમાણપત્ર મેળવનાર દેશની પ્રથમ ઈન્ટીગ્રેટેડ સ્ટીલ ઉત્પાદક બની છે. આ ઉત્પાદનો જે ઓટોમોટિવ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિફેન્સ, કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ક્ષેત્રો માટે મુખ્ય જરૂરિયાત છે, તેને હવે સત્તાવાર રીતે સરકાર દ્વારા પ્રમાણિત ગ્રીન સ્ટીલ તરીકે માન્યતા અપાઇ છે, પ્રમાણપત્ર માટેની પાત્રતા સ્ટીલ ઉત્પાદનની ઉત્સર્જન તીવ્રતા પર આધારિત છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેકન્ડરી સ્ટીલ ટેકનોલોજી દ્વારા કરાયેલી ઓડિટ પ્રક્રિયા દરમિયાન કંપનીના મુખ્ય ફ્લેટ સ્ટીલ પોર્ટફોલિયોએ ગ્રીન સ્ટીલના માપદંડો પૂર્ણ કર્યાની પુષ્ટિ કરવામાં આવી હતી. દિલીપ ઊમ્મેન, ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાના જણાવ્યાનુસાર, ભારતની ગ્રીન સ્ટીલ ટેક્સોનોમી સ્ટીલ ઉદ્યોગના ભવિષ્ય અને તેના ડીકાર્બનાઇઝેશન માટે સ્પષ્ટ દિશા નક્કી કરે છે. આ પ્રમાણપત્ર લો કાર્બન પ્રક્રિયાઓ અને સ્વચ્છ ઊર્જા ક્ષેત્રે કરેલા રોકાણો પર આધારિત છે. કંપનીની ઉત્સર્જન કામગીરીને નવનીકરણીય ઊર્જાના સંકલન દ્વારા વધુ મજબૂતી મળી છે, જેમાં કર્નૂલ ઊર્જા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:30 am

કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરાયું:હિંમત અને પોઝિટિવ એટિટ્યુડથી કેન્સરની બીમારીને હરાવી શકાય છે: ડો.અમી દિયોરા

વેડરોડ સ્વામિનારાયણ ગુરુકુલ ધર્મજીવન ક્લિનિકલ લેબોરેટરી ખાતે સુરતના જૈન તેરાપંથ તથા સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા મહિલાઓ માટે નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. કેમ્પમાં 200 ઉપરાંત મહિલાઓને લેબ ટેસ્ટિંગ સાથે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. મહિલાઓ માટે યોજાયેલા આ ખાસ કેન્સર નિદાન કેમ્પને સંબોધિત કરતાં ડો. અમી દિયોરાએ જણાવ્યું હતું કે જેમને કેન્સર થાય છે તેમને જ ખબર છે કે તેની પીડા કેટલી હોય છે. કેન્સર અંગે સજાગતા રાખવી ખૂબ જરૂરી છે. કોઈ લક્ષણને નાના ગણી તેને નજર અંદાજ ન કરવા જોઈએ હિંમત, સજાગતા અને પોઝિટિવ એટિટ્યુડથી કેન્સરને માત આપી શકાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેન્સરની બીમારીથી બચવા તમાકુ અને આલ્કોહોલનું સેવન ન કરવું, વધુ ચરબીવાળો ખોરાક ન લેવો, પ્લાસ્ટિક પેકેજીંગનું ગરમ ફુડ ન ખાવું, ફ્રુટ પણ ત્રણવાર ધોઈને વાપરવું, 45 મિનિટ શારીરિક કસરત કરવી, સમયસર પુરતી ઊંઘ તથા મેડિટેશન વગેરે કરવું જરૂરી છે. આ પ્રસંગે ગુરુકુલ પ્રેમવતી મહિલા મંદિરનાં સાંખ્યયોગી માતાઓ, તેરાપંથ મહિલા મંડળના પ્રમુખ પ્રતિક્ષાબેન, તથા ધર્મજીવન ક્લિનિકના સ્ટાફે સેવા બજાવી હતી.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:29 am

વાવ પંથક જૈન સમાજનો 27મો સમૂહલગ્ન યોજાયો:‘પારિવારિક,સામાજિક અને ધાર્મિક મર્યાદાનું ઉલ્લંઘન થાય તેવી કોઇ રિલ્સ બનાવવી નહીં’

ઉત્તર ગુજરાતના વતની વાવ પંથક જૈન સમાજ દ્વારા 27 માં સમૂહ લગ્નમાં 34 યુગનોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા આ અંગે પ્રસંગે સમાજના અગ્રણી જયંતીભાઈ કોરડીયાએ જણાવ્યું કે આજના મોંઘાદાટ લગ્નો દ્વારા જે આર્થિક ભારણ વધી રહ્યું છે તેને દૂર કરવા માટે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દરેક વ્યક્તિએ સમુહ લગ્નમાં જોડાઈને ખોટા ખર્ચાઓ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ તેમાંથી બચેલી રકમ ભવિષ્ય માટે યોગ્ય રીતે આયોજન કરવું જોઈએ. વાવ પંથક છેલ્લા ઘણા વર્ષોથી સમૂહલગ્ન દ્વારા સમાજને જોડી રહ્યું છે અને મોંઘવારીમાં કોઈપણ લોકોને આર્થિક રીતે કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે સમાજ સતત આ આયોજન કરી રહ્યું છે. 5 ફેબ્રુઆરી એ પાલ ખાતે યોજાયેલા 27માં સમૂહલગ્નમાં 5000 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. નવ દંપતીઓને આશીર્વાદ સાથે આગેવાનોએ જણાવ્યું હતું કે ઘણી બધી જગ્યાએ સેલ્ફી લેતી વખતે અકસ્માતે જાન ગુમાવવી પડી હોય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે સમગ્ર વાવ સમાજના યુવાનોને ખાસ ટકોર કરી હતી કે કોઈપણ જોખમી જગ્યાએ સેલ્ફી લેવી નહીં અને બીજું જેમાં સામાજિક,પારિવારિક કે ધાર્મિક મર્યાદાઓનુ ઉલ્લંઘન થતું હોય તેવી વિડિયો રીલ બનાવવી નહીં. વાવ સમાજ દ્વારા પ્રથમ વાર નવા અભિગમ સાથે સગાઈ અને મોસાળું એક સાથે જ કરવામાં આવ્યું હતું. જે સમાજના રીત ભાતને અલગ ઓળખ આપેછે. પ્રથમ વખત સમૂહલગ્નમાં સગાઇ અને મોસાળુવાવ સમાજના અગ્રણી મહેન્દ્રભાઈ વોરા એ જણાવ્યું કે વાવ સમાજના લોકો સુરતમાં આવીને વસ્યા અને અહીંથી તેમણે સામાજિક અને આર્થિક કર્યો કરીને સમાજને એક તાંતણે બાંધીને જરૂરિયાતના સમયે એકબીજા સાથે ઊભા રહે છે. દરેક ક્ષેત્રોમાં પ્રગતિ કરી ને સુરતના વિકાસમાં ફાળો આપ્યો છે. અગ્રણીઓએ તન મન અને ધન દ્વારા દર વર્ષે આયોજનને સફળ બનાવવા માટે આગોતરા આયોજન કરે છે. સમૂહલગ્નના આયોજનમાં પહેલીવાર સગાઈ અને મોસાળું જેવા મહત્વના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે જે અન્ય સમાજ માટે ઉદાહરણ પૂરું પાડયુ છે.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:28 am

7008 વિકાસ પરવાનગી મંજૂર કરાતાં પાલિકાની તિજોરી છલકાઇ:પેઈડ FSIમાં 1100નો કરોડનો લક્ષ્યાંક અપાતાં રિયલ એસ્ટેટમાં તેજીના સંકેત

પાલિકાના ડ્રાફ્ટ બજેટમાં પેઈડ FSI પેટે 1100 કરોડનો મોટો ટાર્ગેટ મૂકાયો છે. જ્યારે નાણાકીય વર્ષ 2025-26માં અત્યાર સુધીમાં કુલ 7008 વિકાસ પરવાનગીની અરજી મંજૂર કરી છે, જ્યારે 272 પ્રોજેક્ટ્સને BU અપાયાં છે. પાલિકા જે રીતે પેઈડ FSI અને લેન્ડ કોન્ટ્રિબ્યુશન થકી આવક મેળવી રહી છે તેનાથી છેવાડાના વિસ્તારોમાં રોડ નેટવર્ક અને સામાજિક માળખાગત સુવિધાઓ ઝડપથી વિકસી રહ્યો છે. પેઇડ FSIની આ‌વકથી આ વિસ્તારોમાં કામગીરીસંપાદિત જમીનો પર શહેરના વિવિધ ઝોનમાં માળખાગત સુવિધાઓનું કામ ચાલી રહ્યું છે. રાંદેર ઝોનના અસારમામાં નવું ફાયર સ્ટેશન, ભાઠા અને ઈચ્છાપોર વિસ્તારમાં અન્ડરગ્રાઉન્ડ/ઓવરહેડ ટાંકી. કતારગામ ઝોનમાં ગોથાણ ખાતે પાણીની ટાંકીના પ્રોજેક્ટ. વરાછા ઝોનમાં ભરથાણા, કોસાડ, ઉમરા, અબ્રામા, વેલંજા, કઠોર, પાસોદરા અને લસકાણા જેવા નવા વિસ્તારો માટે પાણીના નેટવર્કનું કામ હાલમાં પ્રગતિ હેઠળ છે. 1886માંથી નોન ટીપી વિસ્તારોની 120 અરજી આવીપાલિકાએ નોન ટીપી વિસ્તારોમાં પણ આયોજનબદ્ધ વિકાસ માટે કમર કસી છે. પ્લોટ વેલિડેશનની 1886 અરજી પૈકી 120 અરજી નોન-ટીપી વિસ્તારની છે. આ પ્રક્રિયાથી અંદાજે 6,74,726.11 ચો.મી. જમીન સંપાદિત કરાઈ છે, જેની બજાર કિંમત 269.89 કરોડ છે. આ જમીનનો ઉપયોગ લોકો માટે પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવામાં કરાશે.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:25 am

પાલિકાની બજેટ બેઠકમાં શાસકો લાલઘૂમ:બજેટમાં બે બ્રિજની બાદબાકી કરાતાં ઈજનેરનો ક્લાસ લેવાયો

વર્ષ 2025-26ના ડ્રાફ્ટ બજેટની સમીક્ષા બેઠક દરમિયાન સ્થાયી અધ્યક્ષ રાજન પટેલે બ્રિજ સેલના કાર્યપાલક ઇજનેર રામજીવાલાને ખખડાવ્યા હતા, જેનું મુખ્ય કારણ શાસકોએ સૂચવેલા બે મહત્વના બ્રિજ પ્રોજેક્ટની સમિતિને જાણ કર્યા વગર બજેટમાંથી બાદબાકી કરવાનું છે. બજેટ રિવ્યુ બેઠકમાં ઇન્ચા. સિટી ઇજનેર ભગવાગર અને કાર્યપાલક ઇજનેર રાકેશ મોદીની હાજરીમાં જ ચેરમેન દ્વારા બ્રિજ સેલના કાર્યપાલક ઇજનેર જયાંગ રામજીવાલાનો ઉધડો લેતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “પોતાની જાતને સુપર કમિશનર સમજવાનું બંધ કરો.” પ્રોજેક્ટ રદ કરતાં પહેલા સ્થાયી સમિતિને જાણ કેમ ન કરી તેવો તીખો સવાલ પણ કરવામાં આવ્યો હતો. શું છે સમગ્ર વિવાદ?સ્થાયીએ બજેટમાં બે મહત્વના બ્રિજ સૂચવ્યા હતા. અખંડ આનંદ કોલેજથી ડભોલી અને વાલક પાટિયા પાસે ફ્લાય ઓવર, પરંતુ ડ્રાફ્ટ બજેટમાં આ બંને બ્રિજ ગાયબ હતા. તપાસમાં જણાયું કે, બ્રિજ સેલના ઇજનેર રામજીવાલાએ ફિઝિબિલિટી રિપોર્ટ નેગેટિવ હોવાનું કારણ આપી શાસકોને અંધારામાં રાખ્યા હતા.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:25 am

નવી પેસેન્જર ગાઇડલાઇન:હવે વિદેશથી મહિલાઓ 1 લાખ નહીં પણ 40 ગ્રામ સુધી સોનું લાવી શકશે

સુરત આવતી ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં ડીઆરઆઇ અને કસ્ટમે વિશેષ ચેકિંગ હાથ ધરી પેસેન્જરોને ચેક કર્યા હતા. જો કે, કંઈ વાંધાજનક મળ્યું ન હતું. નોંધનીય છે કે અગાઉ સુરતમાં કુલ 40 કરોડથી વધુનું સોનું ઝડપાઈ ચુક્યું છે. આ ઉપરાંત હીરા, ડોલર, ગાંજો અને ડ્રગ્સના સ્મલગિંના કિસ્સા પણ બન્યા છે. તાજતેરમાં જ સીબીઆઇએ જે નવા પેસેન્જર રૂલ્સ જાહેર કર્યા છે તેમાં મહિલાઓ માટેની 1 લાખ સુધીની સોનું લાવવાની જે રૂપિયાની લિમિટ હતી તેને ગ્રામમાં ફેરવીને 40 ગ્રામ કરી દીધી છે, જે 5.50 લાખ થાય છે. આ લિમિટ એમના માટે છે જેઓ વિદેશમાં છ મહિનાથી એક વર્ષ સુધી રોકાઈ છે. માત્ર રૂટિનમાં આવવા જવા વાળા માટે નથી. ભાસ્કર એક્સપર્ટવિદ્યાર્થીઓ લેપટોપ લાવી શકશે, પુરુષ 20 ગ્રામ સોનુંCBDTની નવી ગાઇડલાઇન મુજબ વિદ્યાર્થીઓ વિદેશથી લેપટોપ લાવી શકશે. પુરુષ 1 વર્ષ પછી પરત ફરતો હોય તો 20 ગ્રામ સોનું અને મહિલા 40 ગ્રામ સોનું લાવી શકશે. અગાઉ આ લિમિટ અનુક્રમે 50 હજાર અને 1 લાખમાં જે વધુ હોય તે હતી.માર્કેટમાં વધેલા ભાવના લીધે આમ કરાયું છે. ભારતીયો 75 હજાર સુધીનો ડ્યુટી ફ્રી સામાન લઈ જઇ શકશે. - જગદીશ વૈષ્ણવ, સી.એ.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:24 am

સમર શિડ્યુલમાં 3 ફ્લાઈટને સુરત એરપોર્ટની મંજૂરી:સમરમાં મુંબઈ, નવી મુંબઈ અને નોઇડાની ફ્લાઇટ મળી શકે, હીરા-કાપડ સહિતના વેપારીઓને લાભ

સુરતીઓની વર્ષો જૂની માંગ હવે આખરે પૂરી થવા જઈ રહી છે. સમર વેકેશનમાં સ્ટાર એર એરલાઇન મુંબઈ માટેની સવાર-સાંજની ફ્લાઇટ લાવવાની તૈયારી કરી રહી છે, જ્યારે ઇન્ડિગો એરલાઇન નવી મુંબઈની સાથે સાથે નોઇડાની ફ્લાઇટ લાવવાની તૈયારી કરી રહી છે. આ બંને ફ્લાઇટ્સ શરૂ થયા બાદ સુરતના હીરા અને કાપડ ઉદ્યોગ સહિતના વેપારીઓ સવારે મુંબઈ જઈને કામ પતાવી રાત્રે પરત ઘરે ફરી શકશે. એટલું જ નહીં, સડક માર્ગ કે ટ્રેન દ્વારા મુસાફરી કરવાને બદલે હવે એર કનેક્ટિવિટી મળવાથી ગ્લોબલ ફ્લાઇટ્સનું સીધું જોડાણ મળશે, જેનાથી સમયની મોટી બચત થશે અને વેપારને નવી પાંખો મળશે. વેપારીઓ દિવસ દરમિયાન કામ પતાવીને રાત્રે ઘરે પરત ફરી શકશે મારા કામની વાત મુંબઈની કનેક્ટિવિટીથી દેશ-વિદેશની ફ્લાઇટ્સ મળવી સરળ બનશેબે એરલાઈન્સે માંગેલા સ્લોટને સુરત એરપોર્ટે મંજૂરી આપી દીધી છે. હવે નવી-જૂની મુંબઇના એરપોર્ટની મંજૂરી રાહ જોવાઈ રહી છે. હવે AAI અને DGCA રનવેની ક્ષમતા અને પાર્કિંગ સ્લોટ તપાસીને મંજૂરી આપશે. ત્યાર બાદ બંને એરલાઇન્સ ટિકિટ બુકિંગ શરૂ કરશે.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:22 am

ભાસ્કર એક્સક્લુસિવ:લોકો આખું વર્ષ ફીડબેક આપી શકશે, નદી કિનારાનાં શહેરો માટે અલગ વેઇટેજ, રિવર ફ્રન્ટ સ્વચ્છતાની નવી જોગવાઇ

સ્વચ્છતા સર્વેક્ષણ 2025-26ની ટૂલ કિટ સાથે નવી ગાઇડલાઇન જાહેર થતાં પાલિકા કમિશનર એમ. નાગરાજને 2થી 28 ફેબ્રુઆરી દરમિયાન સઘન સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરાવી છે, જેમાં જનજાગૃતિ માટે ભીના-સૂકા કચરાના વર્ગીકરણ માટે ડોર-ટુ-ડોર કેમ્પેઈન, સિંગલ યુઝ પ્લાસ્ટિક, બ્યુટિફિકેશન સાથે જાહેર સ્થળો પર ગંદકી સામે દંડાત્મક કાર્યવાહી કરાશે. અધિકારીઓએ કામગીરીના ફોટોગ્રાફ્સ અને રિપોર્ટ રોજ સાંજે 4 સુધીમાં મોકલવાના રહેશે. નંબર 1 જાળવી રાખવા પાલિકા સામે નવો પડકાર છે. કેમ કે, નાગરિકોનો અવાજ અને રિવર ફ્રન્ટ સ્વચ્છતાની જોગવાઇ નવી છે. હવે નાગરિકો આખું વર્ષ રેટિંગ આપી શકશે. આ વખતે 3000થી વધુ એસેસર્સ GPS સક્ષમ રીઅલ ટાઇમ મોનિટરિંગથી 45 દિવસ સર્વે કરશે. સુરત માટે ચેતવણી: કચરા પ્રોસેસિંગમાં 45 નેગેટિવ માર્ક્સગયા વર્ષે સર્વિસ લેવલમાં સુરતના માર્ક્સ સારા હતા, પરંતુ આ વખતે દેખીતી સફાઇ (1500) અને પ્રોસેસિંગ (1500) માર્ક્સ ખૂબ વધારે છે. પાલિકા પર કલંક સમાન સોલિડ વેસ્ટ કૌભાંડ બાદ પ્રોસેસિંગના ડેટામાં જો ભૂલ જણાશે તો નવી ટૂલ કિટ મુજબ 45 નેગેટિવ માર્ક્સની જોગવાઈ સુરતને પાછળ ધકેલી શકે છે. વળી, પ્રોસેસિંગ પ્લાન્ટ્સ પર વેસ્ટનું વજન અને ક્વોલિટી ચેક કરવા AI સીસી ટીવી અને સેન્સર સિસ્ટમ અનિવાર્ય રહેશે. દરેક ટન કચરાનું પ્રોસેસિંગ પ્રમાણભૂત હોવું જોઈએ કારણ કે એસેસર્સ આ વખતે ઊંડાણપૂર્વક તપાસ કરશે. સર્વેક્ષણમાં આ નવી કેટેગરીઓનો સમાવેશ કરાયોસ્વચ્છ શહેર જોડી(SSJ) : આ એક નવી મેન્ટરશિપ કેટેગરી છે. સુરત જેવા સુપર સ્વચ્છ લીગ (SSL)નાં શહેરોએ નાનાં શહેરો (Mentee cities)ને દત્તક લઈ તેમને સફાઈના પાઠ ભણાવવાના રહેશે. જોડીના સરેરાશ સ્કોર પર અલગ એવોર્ડ પણ મળશે. વોટ ફોર માય સિટી: ફિડબૅક હવે માત્ર સર્વે સમયે નહીં પણ આખું વર્ષ આપી શકાશે. એટલે કે પાલિકાએ આખું વર્ષ શહેરીજનોને ખુશ રાખવા માટે વિવિધ કામગીરી કરવી પડશે. રિવર ફ્રન્ટ મેટ્રિક્સ: નદી કિનારાનાં શહેરો (જેમ કે તાપી કિનારાનું સુરત) માટે અલગ 2%થી 5% વેઇટેજવાળા નવા ઇન્ડિકેટર્સ ઉમેરાયા છે. પાલિકાએ આ મુદ્દે વધુ ફોકસ કરવો પડશે ઇન્દોર કેમ આગળ છે?ઇન્દોરમાં સ્ત્રોત પર જ કચરાનું અલગીકરણ મુખ્ય કારણ છે. ત્યાંના લોકો ઘરમાં જ 6 પ્રકારે કચરો અલગ કરે છે (સૂકો, ભીનો, સેનિટરી, ઈ-વેસ્ટ વગેરે). સુરતે ડોર-ટુ-ડોર કલેક્શન ઉપરાતં 100% સેગ્રિગેશન પર ભાર મૂકવો પડશે, જેમાં સોસાયટીઓને પણ જોડવી પડશે. સિટિઝન ફીડબેક સહિત જુદી જુદી કેટેગરીઓના માર્ક્સનું માળખું

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:18 am

સિટી એન્કર:હિમોફિલિયાગ્રસ્ત યુવકની સિવિલમાં ‘ટોટલ ની રિપ્લેસમેન્ટ સર્જરી’ ખાનગીમાં નિષ્ફળતા મળ્યા બાદ 80 લાખની સારવાર ફ્રીમાં થઈ ગઈ

સિવિયર હિમોફિલિયા ટાઈપ-એ સાથે હાઈ ટાઈટર ઇનહિબિટરની બીમારીથી પીડાતા મુંબઈના આધેડની ટોટલ ‘ની રિપ્લેસમેન્ટ’ સર્જરી કરી સિવિલે આધેડને નવું જીવન આપ્યું છે. ખાનગી હોસ્પિટલમાં 80 લાખના ખર્ચે થતી સારવાર સિવિલમાં વિનામૂલ્યે મળી છે. મુંબઈના રહેવાસી 45 વર્ષીય સેમસન એન્ડ્રુ રોડ્રિક્સ સિવિયર હિમોફિલિયા ટાઈપ-એની સાથે હાઈ ટાઈટર ઇનહિબિટરથી પીડાતા હતા. તેઓ ઘણાં વર્ષોથી જમણા પગના ઘૂંટણનાં દુ:ખાવાથી પીડિત હતા. તેમણે પૂણે અને મુંબઈમાં સારવાર લીધી, જ્યાં ‘ની રિપ્લેસમેન્ટ’ની સલાહ મળી હતી, પરંતુ ગંભીર બીમારી હોવાથી દરેક જગ્યાએથી નિષ્ફળતા જ મળી. આખરે સુરત સિવિલના તબીબોએ તેમને નવજીવન આપ્યું છે. સેમસને જણાવ્યું કે સુરત સિવિલમાં જાન્યુઆરીમાં દાખલ થયો અને મહિનાની સારવાર બાદ હાલમાં ચાલીને ઘરે પાછો ફર્યો છું. લાંબા સમય બાદ વોકરના સપોર્ટથી મુક્તિ મળતા પરિવાર પણ ખુશ છે. સિવિલના ઓર્થોપેડિક વિભાગના વડા ડૉ. હરિ મેનન, ડૉ. નીતિન ચૌધરી તથા ટીમે આ સર્જરી કરી હતી. આ તમામ સારવારમાં 80.60 લાખના ઇન્જેક્શનોનો ઉપયોગ કરાયો હતો. સુરત હિમોફિલિયા સેન્ટર વિષે વિગતો આપતા નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ કહ્યું કે, આ સેન્ટર સમગ્ર રાજ્યમાં એકમાત્ર સમર્પિત સેન્ટર તરીકે કાર્યરત છે અને સતત પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા લોકસેવા અર્થે અપાતી મોંઘી દવા, આધુનિક સારવાર અને ટીમ વર્ક થકી આ સેન્ટરમાં હિમોફિલિયા દર્દીઓની 17 મેજર સર્જરીઓ સફળતાપૂર્વક કરવામાં આવી હતી. ઈન્હિબિટર એટલે શું?હિમોફીલિયા દર્દીને જ્યારે ફેક્ટર આપીએ, ત્યારે કેટલાક દર્દીઓમાં શરીર એ ફેક્ટરની સામે લડે છે. આ લડવાની પ્રક્રિયામાં જે એન્ટીબોડી બને છે તેને જ ઇન્હિબિટર કહે છે. ઇન્હિબિટર પોઝીટીવ દર્દી હોય તો શું થાય? ઇન્હિબિટર પોઝીટીવ દર્દીની સારવાર શું?આવા દર્દીને આપેલો ફેક્ટર અસર કરતો નથી. રક્તસ્ત્રાવ કંટ્રોલ થવામાં મુશ્કેલી પડે છે. અને સામાન્ય ડોઝથી આ રક્તસ્ત્રાવ અટકતો નથી. ઇન્હિબિટર પોઝીટીવ દર્દીને બાયપાસીંગ એજન્ટસ જેમ કે ફેક્ટર VII અને FEIBA ની સારવાર કરાય છે.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:10 am

ટીપીઓએ જવાબદારીથી હાથ ખંખેર્યા:‘રાજકોટમાં 10 હજાર ગેરકાયદે બિલ્ડિંગ છે, શું બધાં પાડી નાખવા?’ ખંખેરતા

રાજકોટ શહેરમાં માધાપર ચોકડી પાસે ઊભેલા વિવાદાસ્પદ નેક્સસ બિલ્ડિંગથી લઈ મ્યુનિસિપલ કમિશનરના બંગલા સામે પાર્કિંગમાં થયેલા દબાણ સુધીના ગેરકાયદે બાંધકામોનો મુદ્દો હાલ શહેરમાં “ટોક ઓફ ધી ટાઉન” બન્યો છે. કાયદાની આંખ સામે ઊભેલા આ બાંધકામો સામે કાર્યવાહી કેમ થતી નથી તે અંગે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ મુદ્દે મહાનગરપાલિકાના મુખ્ય ટીપીઓ આર.ડી. પરમારનો સંપર્ક કરતા તેઓએ ચોંકાવનારું નિવેદન આપતાં કહ્યું હતું કે, “રાજકોટમાં 10 હજાર ગેરકાયદે બિલ્ડિંગ છે તો શું બધાં પાડી નાખવા?” આ નિવેદનથી તંત્રની નિષ્ક્રિયતા ખુલ્લી પડી ગઈ છે કે કેમ તેવો સવાલ ઉઠ્યો છે. બીજી તરફ, આ સમગ્ર વિવાદ જે સેન્ટ્રલ ઝોન હેઠળ આવે છે અને જ્યાં સીધી જવાબદારી ટીપીઓ હેતલ સોરઠિયાની બને છે, ત્યાં સોરઠિયાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં તેઓએ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું. અગાઉ નેક્સસ બિલ્ડિંગને સીલ કરવાનો આદેશ કમિશનર તુષાર સુમેરા તથા મુખ્ય ટીપીઓનો જ હતો જેને પણ હેતલ સોરઠિયા ઘોળીને પી ગયા હતા અને હવે તેમને નવા ટીપીઓ પરમાર ખુલાસો પણ ન પૂછી શકતા અનેક સવાલો ઉઠ્યા છે. તેમના આ વલણને લઈને “હિટલરશાહી વર્તન” જેવી ટીકા ઊઠી રહી છે. મહાપાલિકામાં કામ માટે આવતા સામાન્ય અરજદારોને પણ સોરઠિયાના ઉદ્ધત વર્તનના અનુભવ થયાની ગંભીર આક્ષેપો સાથેની ફરિયાદો ભૂતકાળમાં ટીપીઓ અને કમિશનર સુધી પહોંચી છે ત્યારે તેઓ આ રીતનું વર્તન કરતા હોય તો તે ખરેખર તપાસનો વિષય હોવાનો સૂર ઉઠયો છે. કમિશનરના બંગલા સામે દબાણ યથાવત્એટીપી મૌલિક ટાંકે રિપોર્ટ કર્યા બાદ ડિમોલિશન ઓર્ડર કરવાના બદલે ટીપીઓ સોરઠિયા ખુદ સ્થળ પર જઈ “સૂચના” આપી પાછા ફર્યા હતા. બે દિવસમાં દબાણ દૂર કરાવવા કહ્યું હોવાનો દાવો થયો હતો, પરંતુ સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ દબાણ યથાવત્ છે. વિરોધાભાસ એ છે કે, રાજકીય ઓળખ ન ધરાવતા ટી પોસ્ટ માલિકે પોતાનું દબાણ સ્વયંભૂ દૂર કરી દીધું હતું ત્યારે જાની લોચો અને ખમણના માલિકને કોનું પીઠબળ છે ? કે તેની સામે કાર્યવાહી થતી નથી. 10 હજાર ગેરકાયદે બિલ્ડિંગ છે તો તંત્ર શું કરતું હતું?જો શહેરમાં ખરેખર 10 હજાર ગેરકાયદે બિલ્ડિંગો ઊભા થઈ ગયા હોય, તો સવાલ સીધો તંત્ર પર જ આવે છે. બાંધકામ દરમિયાન કાર્યવાહી કેમ ન થઈ? ટીપી શાખા કઈ દબાણમાં ચૂપ રહી? કાયદેસર હોય તો સીલિંગ-ડિમોલિશન કેમ નહીં? જો આ આંકડો સાચો હોય તો તેની યાદી જાહેર કરી કાર્યવાહી કરવાની માંગ ઊઠી છે. અન્યથા આ નિવેદન ગેરકાયદે બાંધકામોને છાવરવાનો પ્રયાસ તો નથી ને? તેવી પણ ચર્ચા ગરમાઈ છે. ગરીબો પર બુલડોઝર, બિલ્ડરો પર સત્તાધીશોની મહેરબાનીતાજેતરમાં જંગલેશ્વરમાં 1300થી વધુ ગરીબ પરિવારોના મકાનો પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી સામે લોકોમાં અસંતોષ હતો. હવે સવાલ એ છે કે, ગરીબોના ઘરો તોડી શકાય, તો કરોડોના ગેરકાયદે કોમર્સિયલ પ્રોજેક્ટ કેમ નહીં? માલેતુજારો સામે તંત્ર નરમ કેમ પડે છે તે તપાસનો વિષય બન્યો છે. સોરઠિયાની ભૂમિકા શંકાના દાયરામાં, અધિકારીઓનું મૌનસુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશ મુજબ ગેરકાયદે બાંધકામો દૂર કરાવવાની ફરજ જવાબદાર અધિકારીઓની છે. સેન્ટ્રલ ઝોનમાં થતી બાંધકામ ગેરરીતિઓ રોકવાની સીધી જવાબદારી હોવા છતાં કાર્યવાહી ન થવી અનેક સંકેતો આપી રહી છે.સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા છે કે કૌભાંડીઓ પ્રત્યે સોરઠિયાની વિશેષ “હમદર્દી” છે. જોકે આ મુદ્દે સત્તાવાર સ્પષ્ટતા હજુ સુધી સામે આવી નથી. જ્યારે બીજીબાજુ એવો પણ સવાલ ઊઠી રહ્યો છે કે, હેતલ સોરઠિયા એક વખત સીલના હુકમ થઇ ગયેલા બિલ્ડિંગ સામે કાર્યવાહી કરતા નથી ત્યારે ઉચ્ચ અધિકારીઓ તેની સામે કાર્યવાહી કરવાના બદલે શા માટે મૌન સેવી લીધું છે તે પણ તપાસનો વિષય છે.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:04 am

ચાંદીના દાગીના ચોરનાર તસ્કરો પોલીસ પકડથી દૂર:રાજકોટમાંથી 1.62 કરોડની ચાંદી ચોરનાર કારમાં ખોટો નંબર લગાવીને આવ્યા હતા

રાજકોટના ઉપલાકાંઠા વિસ્તારના ચંપકનગરમાં આવેલા કારખાનામાં ખાબકી તસ્કરો 11 થેલામાં રૂ.1,62,50,000ના ચાંદીના દાગીના કારમાં લઇ ઉઠાવી જતા કારખાનામાં ચોરી થયાની જાણ થતાં ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સહિતની ટીમ દોડી ગઇ હતી. તસ્કરોએ ચોરીને અંજામ આપ્યાના 3 કલાક પૂર્વે, ચોરીને અંજામ આપ્યા પછી સાંજ સુધી શહેરમાં જ આંટાફેરા કર્યા હતા. જે ક્રેટા કાર લઈને તસ્કરો ચોરીને અંજામ આપી ગયા તે કારની નંબર પ્લેટ પણ ખોટી નીકળી હતી. રૈયા સર્કલ પાસેના રામેશ્વરપાર્કમાં રહેતા અતુલભાઇ લીંબાભાઈ બુસાએ નવ દિવસ પૂર્વે ચંપકનગર-1માં બિપીનભાઈ સગેવાડિયાનું મકાન ભાડે રાખ્યું હતું અને ત્યાં કારીગરો રાખી ચાંદીના દાગીના બનાવતા હતા. મંગળવારે સાંજે કારખાનું બંધ કરી બિપીનભાઈ સહિતના લોકો જતા રહ્યા હતા અને મકાનના ઉપરના માળે એક પરિવાર રહેતો હતો. રાત્રિના અઢી વાગ્યાના અરસામાં તસ્કરો અંદર ઘુસ્યા હતા અને મકાનમાં 11 થેલામાં રાખેલા 50 ટચના 140 કિલો ચાંદીના ઘરેણાં ઉઠાવી ગયા હતા, ઉપરના માળે રહેતા પરિવારજનો જાગી જાય નહીં તે માટે તસ્કરોએ તેમના દરવાજાનો આગળિયો બહારથી બંધ કરી દીધો હતો. ચોરીની ઘટના અંગે પોલીસે અતુલભાઈની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જે ક્રેટા કારની શોધખોળ ચાલુ છે તે કારના નંબર ખોટા નિકળ્યા.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:01 am

પોલીસ કાર્યવાહી:રાજકોટના રેલવે સ્ટેશને મદદના બહાને બોલાવી મુસાફરોને લૂંટતો શખ્સ પકડાયો

બિહારના વતની અને મેટોડામાં કારખાનામાં કામ રહેતાં મનીષ સુબોધકુમાર મંડલે રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હિતેશ કનક જાંબુકિયા અને એક અજાણ્યો શખ્સ હોવાનું કહ્યું હતું. મનીષે ફરિયાદમાં જણાવ્યું હતું કે, વતન બિહાર જવા માટે પોતે ગત તા.3ના સાંજે સાતેક વાગ્યે જંક્શન રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ઊભો હતો ત્યારે એક અજાણ્યો શખ્સ તેની પાસે આવ્યો હતો અને સામે દેખાતી અવાવરૂ જગ્યાથી ઘાસનો પૂડો ઉપાડવામાં મદદ કરવાનું કહી મનીષને લઇ ગયો હતો. રેલવે પોલીસ મથકના અધિકારીઓ સહિતની ટીમોએ ટુકડી રચી ફરિયાદના મોબાઈલ ફોનથી જે ખાતામાં નાણાં ટ્રાન્સફર થયા તેના નામ અને યુપીઆઈ આઈડીની ખરાઈ કરી આરોપીનું નામ હિતેશ કનકભાઈ જાંબુકિયા હોવાનું ખુલ્યું હતું. પોલીસે તેના રહેઠાણનું સરનામું મેળવી તુરંત જ ટુકડીઓ રચી ચોક્કસ બાતમીના આધારે આરોપીનું લોકેશન મેળવી રૂખડિયા રેલવે ફાટક નજીકથી અવાવરું જગ્યાએથી આરોપી હિતેશ અને અજાણ્યા શખ્સને પકડી લીધો હતો. રકમની ભાગબટાઈ માટે બંને આરોપીઓ ભેગા થયા હોવાનું પોલીસની પૂછપરછમાં ખુલ્યું હતું. અન્ય શખ્સનું નામ બાડો ઉર્ફે સાહિલ સલીમભાઈ રફાઈ હોવાનું ખુલ્યું હતું. જ્યારે સાહિલ ઉર્ફે બાડો અગાઉ 3 ગુનામાં પોલીસ ચોપડે નામ નોંધાવી ચૂક્યો હતો.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:00 am

વાતાવરણ:ઠંડીમાં ‘ગરમી’ ગુજરાત: રાજ્યમાં સરેરાશ તાપમાનમાં 3થી 7 ડિગ્રી વધારો નોંધાયો

ફેબ્રુઆરીમાં દર વર્ષે જેટલી ઠંડી રહે છે, તેનાથી ઓછી ઠંડી આ વર્ષે પડી રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં સામાન્ય કરતાં લઘુત્તમ તાપમાન 3થી 7 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું છે. ગુરુવારે સુરતનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી પહોંચી ગયું હતું. સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 14 ડિગ્રી નોંધાયું હતું. આ પ્રકારનું વાતાવરણ રહેવા પાછળ કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ક્લાઇમેટ ચેન્જ છે. આ ઉપરાંત સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એક મોટું કારણ છે. આ સિસ્ટમ ઉત્તર તરફથી આવતા ઠંડા પવનોને રોકે છે, જેના કારણે લઘુત્તમ તાપમાનમાં ઊંચુ જઇ રહ્યું છે. રાત્રે અને વહેલી સવારે જે ઠંડી લાગવી જોઈએ તે પણ ઓછી થઈ ગઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી છેલ્લાં 3 દિવસો દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ 70 ટકાની આસપાસ રહ્યું હતું. પરંતુ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો ઘટતાં ભેજનું પ્રમાણ ઘટીને 51 ટકા પહોંચ્યું છે, જેને પગલે ઉત્તર અને ઉત્તરપૂર્વ દિશાથી ફૂંકાતા ઠંડા અને સૂકા પવનોનું ગુજરાતમાં સ્થળાંતર થયું હતું. જેને કારણે લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર ન થવા છતાં શહેરમાં ઠંડક વર્તાઇ હતી. આગામી દિવસોમાં સવાર અને સાંજના સમયે ઠંડી યથાવત રહેવાની શક્યતા છે. - અંકિત પટેલ, હવામાન નિષ્ણાત, અમદાવાદ, એક્સપર્ટ 5 દિવસ સુધી આવા જ હવામાનની આગાહીહવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ, રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આવું જ તાપમાન રહેશે. મોટા ભાગના જિલ્લામાં મહત્તમ તાપમાન 30થી 35 ડિગ્રી સુધી જઇ શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 17થી 20 ડિગ્રી સેલ્સિયલ રહી છે. રાજ્યના ઘણા વિસ્તારોના વાતાવરણમાં ભેજ અને પ્રદૂષણના રજકણો ભળવાથી સ્મોક ફોગ જેવી સ્થિતિ સર્જાઇ છે, જેથી વાદળછાયું વાતાવરણ દેખાઇ રહ્યું છે. અહીં સૌથી વધુ લઘુત્તમ તાપમાન શહેર લઘુત્તમ મહત્તમ સુરત 23 35 વેરાવળ 21 33 ભાવનગર 20 33 શહેર લઘુત્તમ મહત્તમ અમદાવાદ 19 30 કંડલા 19 29 (ડિગ્રી સેલ્સિયસ)

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:00 am

વાહન વેચાણમા વધારો:જાન્યુઆરીમાં શહેરમાં રોજ 682 ટુવ્હીલર, 270 કારનું વેચાણ થયું

જાન્યુઆરીમાં અમદાવાદમાં કુલ 32016 વાહનો વેચાયા હતા. જે ડિસેમ્બરની સરખામણીએ 17 ટકા વધુ છે. જાન્યુઆરીમાં 21151 ટુ-વ્હીલર, 8371 કાર અને 2494 રિક્ષાનું વેચાણ થયું હતું. એટલે કે જાન્યુઆરીમાં રોજ 682 ટુ-વ્હીલર, 270 કાર અને 81 રિક્ષા વેચાઈ હી. ડિસેમ્બરમાં રોજ 545 ટુ-વ્હીલર, 249 કાર અને 64 રિક્ષાનું વેચાણ થયું હતું. તહેવાની સિઝનમા પણ આ રીતે માગ નીકળશે તેવી આશા સાથે દરેક ઓટોમોબાઇલ ડીલરને છે. શહેરની સાથે ગામડાંઓમાં પણ વેચાણમાં ઉછાળો થયોઅમદાવાદ સહિત રાજ્યભરના વાહન વેચાણના આંકડામા દર મહિને વધારે જોવા મળી રહ્યો છે. જીએસટીના રેટમાં ઘટાડો કરાયો છે ત્યારથી લોકોએ ધૂમ ખરીદી કરી છે તેવું જાણવા મળ્યું હતું. ફાડાના ચેરમેન પ્રણવ શાહે જણાવ્યું કે શહેરી વિસ્તારો કરતા ગ્રામ્ય વિસ્તારમાં વાહન વેચાણના આંકડામા વધારો જોવા મળી રહ્યો છે. જેથી ઓવરઓલ રાજ્યના આંકડામાં પણ સારો એવો ઉછાળો જોવા મળ્યો છે.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:00 am

લાકડી વડે કરાયો હુમલો:બીડી આપવાની ના પાડતા વેપારીને લાકડીનો ઘા ઝીંકી દીધો

રાજુલાના આગરીયા જકાતનાકા પાસે બીડી આપવાની ના પાડતા વેપારીને એક શખ્સે લાકડીનો ઘા ઝીંકી દીધો હતો. તેમજ ઢીકાપાટુનો માર મારી અને મારી નાખવાની ધમકી આપી હતી. જાપોદરમાં રહેતા મધુભાઈ ધાખડા ની રાજુલા આગરીયા જકાતનાકા પાસે પાન બીડીની દુકાન આવેલી છે. તે દુકાન બંધ કરી ઘરે જતા હતા. તે દરમિયાન મહેશ મનુભાઇ ધાખડા તેના હાથમાં લાકડી લઇ આવી તેની પાસે બીડી માંગી હતી. મધુભાઈએ દુકાન બંધ કરી દીધી હોવાથી બીડી આપવાની ના પાડતા મહેશ ધાખડા ઉશ્કેરાઇ ગયો હતો અને મધુભાઈને પાટુ મારી નીચે પછાડી દીધા હતા. ત્યારબાદ મહેશે મધુભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો. ઉપરાંત લાકડીનો એક ઘા મારી હાથના બાવડા પર ફ્રેકચર કરી દીધુ હતુ. તેમજ મારી નાખવાની ધમકી આપી હતી. રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા એએસઆઈ ભરતભાઈ વાળા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:00 am

પરિણીતાને અપાયો ત્રાસ:પરણિતાને સાસરીયાએ કરીયાવર બાબતે મેણાટોણા માર્યા, ફરિયાદ

વડીયાના રામપુરની પરણિતાને રાજકોટના વાવડીના સાસરીયાએ કરીયાવર બાબતે મેણાટોણા મારી અને શારિરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપ્યો હતો. આ અંગે પરણિતાએ સાસરીયા સામે વડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મુળ રાજકોટના વાવડીના વતની અને હાલ વડીયાના રામપુરમાં રહેતા રેખાબેન ધર્મેશ ગોંડલીયા (ઉ.વ.29)એ ધર્મેશ હિંમત ગોંડલીયા, હિંમત રણછોડભાઇ ગોંડલીયા, હેમીબેન હિંમત ગોંડલીયા, ભાવેશ હિંમત ગોંડલીયા, જાગૃતીબેન ભાવેશ ગોંડલીયા, રવિ હિંમત ગોંડલીયા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના પતિ, સાસુ-સસરા, જેઠ-જેઠાણી તથા દિયરે તેને લગ્નગાળાના છએક માસના સમયગાળા દરમિયાન શારિરીક માનસીક ત્રાસ આપ્યો હતો. તેમજ કરીયાવર બાબતે મેણા ટોણા મારી મારકુટ કરી હતી. અઢીએક વર્ષ પહેલા રેખાબેનને તેના માવતરે મુકી ગયા હતા. ત્યારબાદ તેને તેડવા ન આવ્યા હતા. આ અંગે વડીયા પોલીસ મથકમાં રાજકોટના વાવડી ગામના સાસરીયા સામે ગુનો નોંધાયો હતો.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:00 am

છરીથી કરાયો જીવલેણ હુમલો:અગાઉનું મનદુ:ખ રાખી યુવકને છરીના ઘા ઝીંકી દીધા

જાફરાબાદના મોટા માણસામાં અગાઉનું મનદુ:ખ રાખી યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. અહીં યુવકને છરીના ઘા ઝીંકી દેતા આ મુદ્દે હત્યાની કોશિષની નાગેશ્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જાફરાબાદના ટીંબીમાં રહેતા જગુભાઈ કાળાભાઈ બાંભણીયા (ઉ.વ.37)એ મોટા માણસાના ભાભલુ જોધાભાઈ સાંખટ, વડલીના મહેશ ડાયાભાઈ રાઠોડ અને ખાંભાના જામકાના અશ્વિન બારૈયા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેનો ભાણેજ હિરેન ઉર્ફે હિરો હિંમતભાઇ જાદવ અને તેનો મિત્ર જયેશભાઇ કનુભાઇ સાંખટ બંને જયેશની વાડીએ જતા હતા. તે દરમિયાન ત્રણેય શખ્સો તથા ઉનાના ચેતનભાઇ પરમાર ઉભા હતા અને ભાભલુને જયેશ સાથે મનદુઃખ ચાલતુ હતું. ત્યારે હિરેન ઉર્ફે હિરો અને જયેશ સાથે રહેતા હતા. તે આ ભાભલુને ગમતી વાત ન હતી. જેના કારણે ભાભલુ તથા અશ્વિન બારૈયા અને મહેશ ડાયાભાઇ રાઠોડ નાઓએ તેના ભાણેજ હિરેન ઉર્ફે હિરાને અપશબ્દો આપી ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. તેમજ મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત ભાભલુએ હિરેન ઉર્ફે હિરાને છરીના ઘા ઝીંકી દીધી હતી અને હત્યાની કોશિષ કરી હતી. આ અંગે નાગેશ્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પીએસઆઈ આર.આર.ગળચર વધુ તપાસ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:00 am

યુવતીએ જીવન ટૂંકાવ્યું:યુવતીએ મૈત્રી કરાર રદ કરતા યુવકે ફાંસો ખાઈ લેતા મોત

રાજુલાના નવી બારપટોળીમાં યુવતિએ મૈત્રી કરાર રદ કરતા 22 વર્ષિય યુવકને મનમાં લાગી આવતા ગળાફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હતું. આ અંગે રાજુલા પોલીસ મથકમાં મૃતકના પિતાએ જાણ કરતા પોલીસે વધુ આગળની તપાસ હાથ ધરી હતી. આ ઘટના અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, રાજુલાના નવી બારપટોળીમાં બાપા સીતારામના ઓટા પાસે રહેતા દેવપરી કાળુપરી ગોસ્વામી (ઉ.વ.42)એ પોલીસને જણાવ્યું હતું કે દિવ્યેશપરી દેવપરી ગોસ્વામી (ઉ.વ.22)એ દોઢેક મહીના પહેલા ચાંચ ગામની પાયલબેન રમેશભાઇ બારૈયા સાથે મૈત્રી કરાર કર્યા હતા. ત્યારબાદ આ મૈત્રી કરાર રદ કરવામાં આવ્યા હતા. જેના કારણે દિવ્યેશપરી ગોસ્વામીને મનમાં લાગી આવ્યું હતું. દરમિયાન 4 ફેબ્રુઆરીના રોજ બપોરે એક વાગ્યાની આસપાર દિવ્યેશપરીએ નવી બારપટોળી ખાતે તેના ઘરે જ ગળાફાંસો ખાઈ લીધો હતો અને મોત નિપજ્યું હતું. યુવકના મોતથી પરિવારમાં શોક પ્રસર્યો હતો. દરમિયાન આ અંગે રાજુલા પોલીસ મથકમાં મૃતકના પિતાએ જાણ કરતા હેડ કોન્સ્ટેબલ જે.જે.કાતરીયા વધુ આગળની તપાસ પણ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:00 am

આખરે ચલાલા પાલિકાની સામાન્ય સભા મળી:ચલાલા પાલિકાની સામાન્ય સભામાં કરાયું 17 કરોડના વિકાસ કામોનું આયોજન

ચલાલામાં બહુચર્ચિત નગરપાલિકામાં નવ નિયુક્ત મહિલા પ્રમુખ ભૂમિબેન જયરાજભાઇ વાળાએ બુધવારના સવારે 11 કલાકે નગરપાલીકા હોલમા ચિફ ઓફિસર રતાણી અને કર્મચારીઓની ઉપસ્થિતિ મા સામાન્ય સભા બોલાવી હતી. નગરપાલિકાની આ સામાન્ય સભામાં કુલ 24 સદસ્યમાંથી 19 સદસ્યો હાજર રહ્યા હતા. 5 સદસ્ય લગ્ન સમારંભમા હોવાના કારણોસર ગેરહાજર રહ્યા હતા. એજન્ડા મુજબના તમામ ઠરાવો અને કારોબારી સમિતિની વરણીના ઠરાવો મંજૂર થયેલા હતા. કારોબારીના ચેરમેન તરીકે જયશ્રીબેન ભરતભાઈ સોલંકીની અને કારોબારી સમિતિના સદસ્ય તરીકે દરેક વોર્ડમાથી એક એક સદસ્યને પ્રતિનિધિત્વ અપાયું હતું. તેઓ પ્રમુખ થયાને માત્ર 20 જ દિવસમાં તમામ સદસ્ય સાથે સંકલન કરી સામાન્ય સભા બોલાવી શહેરના વિકાસ કામોના અંદાજે 17 કરોડની રકમના કામોનુ સર્વાનુમતે આયોજન કરાયું હતું. તેમાથી અત્યારના 5 કરોડના અને અગાઉના અટવાયેલા 2.5 કરોડના મળી કુલ 7.5 કરોડના વિકાસના કામોના એજન્સીઓને આવતા માત્ર દસ જ દિવસમા વર્ક ઓર્ડરો આપી દેવાનો નિર્ણય કરાયો હતો. આગામી દિવસોમાં ચલાલા શહેર અને શહેરીજનોની સુરક્ષા અને સલામતી માટે સી.સી.ટીવી કેમેરાથી સજજ કરવામાં આવશે. તેમજ શહેરના ત્રણ મુખ્ય દાનેવ પ્રવેશ દ્વારને પૂજ્ય શ્રી દાન મહારાજની પુરા કદની પ્રતિમા મૂકી લાઇટીંગ, ડેકોરેશન અને કલર કરી સુસજજ કરવામાં આવશે. મુખ્ય બજાર તીનબતી જલારામ ચોકની સામેના શોપિંગ સેન્ટરની પાસે બાજુમા પેવિંગ બ્લોક લગાવી પાર્કિંગ ઝોન બનાવી ટ્રાફીક સમસ્યા હળવી બનાવવામા આવશે. ભીમનાથ મહાદેવ મંદિરની સામે આવેલ દાનેવ સર્કલને નવા રૂપરંગ આપી સુસજ્જ બનાવવામાં આવશે. શાક માર્કેટમાં પણ નવા પેંવીગબ્લોક લગાવી ઉભરાતી ગટરોને અને થતી ગંદકીને દૂર કરશે.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:00 am

મારામારીનો મામલો આવ્યો સામે:ખાંભાના ડેડાણમાં મહિલાઓને સીટી મારવા મુદ્દે બે જુથ વચ્ચે મારામારી

ખાંભાના ડેડાણમાં રહેતા કિશન ધીરૂભાઈ શીયાળ (ઉ.વ.21)એ અરબાઝ યુસુબ ભોકીયા, અરમાન ઉર્ફે દુડી યુસુબ ભોકીયા, યુસુબ બાબુભાઇ ભોકીયા, ઇકુ બાબુભાઈ ભોકીયા, ઇમ્તિયાઝ યુસુબ ભોકીયા અને મુના બાબુભાઇ ભોકીયા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે અરબાઝ ભોકીયા અને અરમાન ઉર્ફે દુડી ભોકીયા મહિલાઓ પાસે સીટી મારતા અને સીચીયારી કરતા હતી. આ અંગે કિશન શિયાળ સહિતના લોકોએ તેના ઘર પાસે ઠપકો આપવા જતા તમામે પાઇપ, લાકડી તથા છરી જેવા પ્રાણ ઘાતક હથિયારો ધારણ કરી કિશન શીયાળ, વનરાજભાઈ, ધીરૂભાઈને માર માર્યો હતો. જ્યારે અરબાઝ યુસુબ ભોકીયા(ઉ.વ.22)એ કીશન ધીરૂ શીયાળ, વનરાજ ધીરૂભાઇ શીયાળ, ધીરૂ જીણાભાઇ શીયાળ અને અતુલ ઉર્ફે આતુ ગોવિંદભાઇ ચૌહાણ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ ભંગારના દેલે જતા હતા. ત્યારે કીશન શીયાળે બાઈક ઉભુ રખાવી તુ મારી સામે કાતર શુકામ મારે છે. એમ કહી ચારેય શખ્સોએ અરબાઝ ભોકીયાને આડેધડ માર માર્યો હતો. તેમજ અરમાનને પાઇપનો એક ઘા મારી દીધો હતો. આ ઉપરાંત યુસુબને છાતીમાં ઢીકાપાટુનો માર માર્યો હતો. આ અંગે બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ્ટેબલ એમ.પી.ગાજીપરા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:00 am

યુવકે કર્યો આપઘાત:45 વર્ષે પણ લગ્ન ન થતા યુવકે ઝેરી દવા પી લેતા મોત

બાબરાના ખંભાળામાં 45 વર્ષની ઉંમરમાં પણ લગ્ન ન થતા યુવકે ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકનાભાઈએ બાબરા પોલીસ મથકમાં જાણ કરી હતી. પરિવારમાં આક્રંદ સવાયો હતો. આલજીભાઇ ધુડાભાઇ મેવાડા (ઉ.વ.50)એ પોલીસને જણાવ્યું હતું કે ગોરાભાઇ ઉર્ફે ગોરધનભાઇ ધુડાભાઇ મેવાડા (ઉ.વ.45)ના લગ્ન થતા ન હતા. 45 વર્ષની ઉંમર થવા છતાં લગ્ન થતા ન હોવાથી તેને મનમાં લાગી આવ્યું હતું. 1 ફેબ્રુઆરીના રોજ બપોરના અઢી વાગ્યે ખંભાળા ગામે ખડ બાળવાની ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ ગોરાભાઈ ઉર્ફે ગોરધનભાઈ મેવાડાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન ગોરાભાઈ ઉર્ફે ગોરધનભાઈ મેવાડાનું મોત થયું હતું. જેના કારણે પરિવારમાં શોક પ્રસર્યો હતો. આ અંગે બાબરા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા હેડ કોન્સ્ટેબલ વાય.એચ.પરમાર વધુ તપાસ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:00 am

વેધર રિપોર્ટ:અમરેલીમાં તાપમાન 17.8 ડિગ્રી પર પહોંચતા ઠંડી ઘટી

અમરેલીમાં ન્યુનત્તમ તાપમાનનો પારો 17.8 ડિગ્રી પર પહોંચતા ઠંડી ઘટી હતી. જ્યારે પવનની ગતિમાં આજે અચાનક વધારો થયો હતો અને પ્રતિ કલાક 5.1 કિલોમીટરની રહી હતી. અમરેલીમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. દિવસે દિવસે હવે ઠંડી ઓછી થઈ રહી છે. અમરેલીમાં આજે ન્યુનત્તમ તાપમાનનો પારો 17.8 ડિગ્રી રહ્યો હતો. તો બપોરના સમયે મહત્તમ તાપમાનનો પારો 29.9 ડિગ્રી પર પહોંચી ગયો હતો. આ ઉપરાંત હવામા ભેજનું પ્રમાણ 81 ટકા રહ્યું હતું. જ્યારે પવનની ગતિ પ્રતિ કલાક 5.1 કિલોમીટરની રહી હતી. અમરેલીમાં છેલ્લા બે દિવસથી પવનની ગતિમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે ગઈકાલની સરખામણીમાં હવામા ભેજનું પ્રમાણ પણ વધ્યું હતું.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:00 am

RTI એક્ટ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરાઈ‎:માહિતી અધિકારની અરજી તબદીલ કરવામાં 28 દિવસનો વિલંબ કરાતા અધિકારીને 7000નો દંડ

RTIનાં હેઠળ નાગરિકોના અધિકારોનું રક્ષણ કરતા ચુકાદામાં ગુજરાત માહિતી આયોગ દ્વારા ગાંધીનગર સ્થિત પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીના જાહેર માહિતી અધિકારીને કાયદાકીય જોગવાઈઓના ઉલ્લંઘન બદલ રૂ. 7000નો રોકડ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ અંગે સાવરકુંડલાના વકીલ દીપેશભાઈ જોશી દ્વારા માહિતી મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. આ અરજી જે-તે કચેરીને સંબંધિત ન હોવા છતાં, RTI એક્ટની કલમ મુજબ તેને 5 દિવસની અંદર સંબંધિત વિભાગમાં તબદીલ કરવાની જવાબદારી જાહેર માહિતી અધિકારીની હતી. જોકે, જાહેર માહિતી અધિકારી આર. એન. અસારી દ્વારા આ અરજી તબદીલ કરવામાં 28 દિવસનો ગુનાહિત વિલંબ કરવામાં આવ્યો હતો. આ મામલે થયેલી ફરિયાદની સુનાવણી દરમિયાન રાજ્ય માહિતી કમિશનર વિપુલ રાવલે નોંધ્યું હતું કે, અરજી તબદીલ કરવાની સંપૂર્ણ જવાબદારી જે-તે અધિકારીની હોય છે અને રજીસ્ટ્રી શાખાના વિલંબનું કારણ સંતોષકારક ગણી શકાય નહીં. આયોગે સ્પષ્ટ કર્યું કે માહિતી આપવામાં કે અરજી ટ્રાન્સફર કરવામાં વિલંબ એ કાયદાનો ભંગ છે. માહિતી અધિકાર અધિનિયમની કલમ હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને, આયોગે 28 દિવસના વિલંબ બદલ પ્રતિ દિન 250 લેખે કુલ રૂ. 7000નો દંડ ફટકારવામાં આવ્યો છે. હુકમ મુજબ દંડની રકમ અધિકારીએ પોતાના અંગત ભંડોળ અથવા પગારમાંથી ભરવાની રહેશે. આ રકમ 1 માસની અંદર સરકારી તિજોરીમાં જમા કરાવી તેની પહોંચ આયોગને મોકલવા હુકમ કરાયો હતો.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:00 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:સાવરકુંડલામાં માત્ર 45 જ લોકોએ 8060 ‎‎નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 ભર્યા‎

સાવરકુંડલા તાલુકામાં એસઆરઆઈની કામગીરીમાં 8069 મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 ભરાતા આજે કોંગ્રેસે તેમના મતદારોના નામ જાણી જોઈને કમી કરાતા હોવાના આક્ષેપ સાથે વિશાલ રેલી કાઢી પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી અને આ બારામાં ફોર્મ ભરનારા ભાજપના 45 કાર્યકરો સામે એફઆરઆઈ દાખલ કરવા માંગ કરી હતી. અમરેલી જિલ્લામાં એસઆરઆઈની કામગીરીમાં ફોર્મ નંબર 7 ભરી લોકોના નામ કમી કરવા માટે જાણે રીતસર કારસો ચાલતો હોય તેમ વડીયા પંથકમાં તો ખુદ બીએલઓના નામ કમી કરવા અરજી થઈ હતી. ત્યારે હવે સાવરકુંડલા વિસ્તારમાં તો 8069 નામ કમી કરવા માટે તંત્રને ફોર્મ નંબર 7 મળ્યા છે. આટલા મોટો પ્રમાણમાં નામ કમીની અરજી મળતા તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે. વળી આ અરજી માત્ર 45 લોકો દ્વારા જ કરવામાં આવી છે. જેના નામ કમી કરવા માટે અરજીઓ આવી છે. તેમાંથી મોટાભાગના લઘુમતી સમાજના છે. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાંથી દરેક સમાજના મળી આટલી મોટી સંખ્યામાં નામ કમીની અરજી આવી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે આરટીઆઈ હેઠળ આ તમામ અરજીઓ મેળવી હતી અને બાદમાં આજે નામ કમી કરવાનું ષડયંત્ર હોવાના આક્ષેપ સાથે શહેરના માર્ગો પર વિશાળ રેલી કાઢી હતી. તેમણે ધારાસભ્યના કાર્યાલયે જઈ આ પ્રકારની પ્રવૃતિ બંધ કરવા અપીલ કરી હતી અને બાદમાં પ્રાંત અધિકારી કચેરીએ પહોંચી આવેદન પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે 45 લોકોએ ફોર્મ નંબર 7નો દુરઉપયોગ કરી નામ કમી કરવા અરજીઓ કરી છે. જેના નામ કમી કરવા અરજી કરાય છે તેવા લોકો ખરેખર તે જ સ્થળે રહે છે અને હયાત પણ છે. માત્ર ભાજપ વિરોધી મતદારોને કાપવા આ ખોટી અરજીઓ કરાય હોય જવાબદારો અને તેમાં સંડોવાયેલ વ્યક્તિ સામે કાનુની કાર્યવાહી કરી એફઆરઆઈ દાખલ કરવામાં આવે તેમણે આ મુદ્દે હાઈકોર્ટમાં જવાની ચિમકી પણ ઉચ્ચારી છે. મૃત્યુ પામ્યાની ખોટી માહિતી અપાઈ જે નામ કમી કરવાની અરજીઓ આવી છે. તેમાં મોટાભાગે તેઓ આ સ્થળે રહેતા નથી. સ્થળાંતર કે મૃત્યુ પામ્યા છે. તેવા કારણો અપાયા છે. કોંગ્રેસે કહ્યું હતું કે આ તમામ લોકો હયાત છે. જે તે સ્થળે જ રહે છે. બીએલઓએ પણ તેની ખરાઈ કરી છે. હુ તમામ લોકોને પ્રાંત અધિકારી સમક્ષ લઈ આવીશ : દૂધાત પ્રતાપ દૂધાતે જણાવ્યું હતું કે મે પ્રાંત અધિકારીને ફોન કરી એવું કહ્યું હતું કે જે લોકોના નામની અરજીઓ આવી છે. તે તમામને હુ પ્રાંત અધિકારી સમક્ષ લાવવા તૈયાર છું. તમારે આ મુદ્દે જવાબદારો સામે પોલીસ ફરિયાદ કરવી જોઈએ. અરજી કરનાર BJP કાર્યકરો‎‎પ્રતાપ દૂધાતે રેલી સ્વરૂપે ભાજપ કાર્યાલયે જઈ ધારાસભ્ય મહેશ કસવાલાના પીએને ફુલ આપી ગાંધીગીરી કરી હતી અને આ પ્રકારના ષડયંત્ર બંધ કરવાની અન્યથા કાનુની લડત માટે તૈયાર રહેવાની ચિમકી ઉચ્ચારી હતી ફૂલ આપી ગાંધીગીરી કરી‎પ્રતાપ દૂધાતે રેલી સ્વરૂપે ભાજપ કાર્યાલયે જઈ‎ધારાસભ્ય મહેશ કસવાલાના પીએને ફુલ‎આપી ગાંધીગીરી કરી હતી અને આ પ્રકારના‎ષડયંત્ર બંધ કરવાની અન્યથા કાનુની લડત‎માટે તૈયાર રહેવાની ચિમકી ઉચ્ચારી હતી.‎

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:00 am

આક્રોશ:પંચકોશી પરિક્રમા પહેલાં નદીઓમાં સ્નાન પર પ્રતિબંધ

નર્મદા જિલ્લામાં 46 પ્રવાસન સ્થળોએ નદી તથા જળાશયોમાં સ્નાન પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવતાં સાધુ- સંતોમાં રોષ જોવા મળી રહયો છે. જિલ્લામાં આવેલી કરજણ અને નર્મદા નદીમાં રોજના હજારો શ્રધ્ધાળુઓ સ્નાન કરી રહયાં છે. પોઇચામાં સુરતના એક જ પરિવારના 8 લોકોના મોતની ઘટના બાદ જિલ્લામાં આવેલી નદીઓ તથા જળાશયોમાં સ્નાન કરવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ ઉઠાવી લેવાની માગ સાધુ-સંતો તરફથી કરવામાં આવી છે. માંગરોલ આશ્રમના સ્વામી જ્યોતિર્મયાનંદજીએ જણાવ્યું હતું કે, નર્મદા મૈયાનો પવિત્ર કિનારો નર્મદા સ્નાન માટે ખૂબ મહત્વનો છે. જેની મહત્ત્વતાનું નર્મદા પુરાણ,ગરુડ પુરાણ સહિત અનેક ગ્રંથો અને સાહિત્યોમાં ઉલ્લેખ છે. આવા પવિત્ર સ્થળે લોકો સ્નાન કરે એ સ્વાભાવિક છે તેથી તંત્રએ મુકેલો પ્રતિબંધ ઉઠાવી લેવો જોઇએ. આગામી માર્ચ મહિનામાં નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમા પણ શરૂ થવા જઇ રહી છે. એક મહિના સુધી ચાલનારી પરિક્રમા દરમિયાન 15 લાખથી વધારે શ્રધ્ધાળુઓ આવવાની સંભાવના છે. 2024ના મે મહિનામાં પોઇચામાં 8 ડૂબ્યાં હતાં નર્મદા જિલ્લાના પોઇચા ગામ પાસે સ્વામિનારાયણ મંદિર તેમજ અન્ય ધાર્મિક સ્થાનોમાં દર્શન માટે આવેલા અમરેલીનાં મૂળ વતની અને હાલ સુરત રહેતા પરિવારના આઠ સભ્યો નર્મદા નદીમાં નાહવા ગયા હતા. ત્યારે તેઓ નદીના ઊંડા પાણીમાં ગરકાવ થયા હતાં. આ ઘટના બાદથી નર્મદા જિલ્લામાં આવેલી નદીઓ તથા જળાશયોમાં સ્નાન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દર વર્ષે તંત્ર તરફથી આવું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. પ્રતિબંધિત કરાયેલા સ્થળોનાંદોદ તાલુકા વિસ્તારમાં જીતગઢ કરજણ ડેમના નીચેના ભાગે, પોઈચા ભાઠા, માંડણ ગામ, રામપુરા ઘાટ કાળીયાભૂત ધોધ, ગામડી ભાઠા, કરજણ ઓવારા, ગુવાર ભાઠા, કરજણ બ્રિજ , પોઈચા બ્રીજ નીચે , ઓરી, સિસોદ્રા, પાટણા અને વરાછા ગામનો નર્મદા નદીનો કિનારો, જુના ઘાંટા ધોધ, વિસાલખાડી, બાર ફળિયા વણઝર ખાતે કરજણ નદીમાં, જુનારાજ, ગોરા હરિધામ આશ્રમના પાછળના ભાગે આવેલ ઓવારા, ગરુડેશ્વર વિયર ડેમના પાછળના ભાગે, ગરુડેશ્વર દત્ત મંદિર ઓવારા વાસલા નદી કિનારા વિસ્તાર, એકતા ક્રુઝ જેટી પોઈન્ટ તથા સરદાર સરોવર ડેમનો વિસ્તારનો સમાવેશ થવા જાય છે.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:00 am

દમણમાં સંભળાશે તમારી મરજીનું રેડિયો સ્ટેશન:દમણની મરજી અનુસાર, દૈનિક ભાસ્કરનું રેડિયો સ્ટેશન 93.7 MYFM આજે શરૂ

દૈનિક ભાસ્કર સમૂહના રેડિયો સ્ટેશન 93.7 MYFMની શુભ શરૂઆત આજે સવારે 7 વાગ્યાથી સુરતના ખાટુ શ્યામ મંદિર ખાતેથી કરવામાં આવશે. હવે દમણમાં સંભળાશે તમારી મરજીનું રેડિયો સ્ટેશન. લૉન્ચ પહેલા MYFM એ દમણના શ્રોતાઓ પાસેથી તેમની પસંદ જાણી હતી કે એમણે કેવા પ્રકારના ગીતો સાંભળવા છે. રેડિયો જૉકી કયા અંદાજમાં વાત કરે, શોમાં કયા પ્રકારનું કંટેન્ટ હોય અને શહેરના કયા અવાજોને રેડિયો સ્ટેશન પર જગ્યા મળે. એના પર મળેલા સૂચનોના આધાર પર 93.7 MYFM દમણનું પ્રોગ્રામિંગ ફોર્મેટ તૈયાર કરવામાં આવ્યું છે. આજથી 93.7 MYFM પર ભજન અને બૉલીવુડ સંગીત, લેટેસ્ટ હિટ્સ અને સદાબહાર ગીતો, લોકલ મુદ્દા પર વાતો અને વાર્તાઓ, બધું શ્રોતાઓની પસંદ અનુસાર સાંભળવામાં મળશે. દૈનિક ભાસ્કર સમૂહનું રેડિયો સ્ટેશન MYFM, દેશમાં 44 સ્ટેશનનું વ્યાપક અને પ્રભાવશાળી નેટવર્ક બનવા જઈ રહ્યું છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત , રાજકોટ, ભુજ અને ગાંધીધામ જેવા 5 શહેરમાં માય એફએમનું નેટવર્ક છે સાથે હવે સંઘપ્રદેશ દમણમાં પણ આજથી માય એફએમ દમણવાસીઓને મનોરંજન પૂરું પાડશે.રાજસ્થાનમાં ભીલવાડા, શ્રીગંગાનગર, પાલી, સીકર અને અલવર સાથે જોડાવાથી MY FM હવે 11 સ્ટેશન સાથે સૌથી મોટું નેટવર્ક બનવા જઈ રહ્યું છે. હરિયાણામાં પણ MY FM સૌથી મોટું નેટવર્ક હશે. જ્યાં પાણીપત, રેવાડી, રોહતક અને અંબાલા જેવા શહેરો સાથે હવે MY FMના 6 રેડિયો સ્ટેશન્સ હશે. મધ્યપ્રદેશમાં રીવા અને રતલામના જોડાવાથી, આવનારા 2 મહિનામાં MYFM દેશનું સૌથી પ્રભાવશાળી રેડિયો નેટવર્ક બનવા જઈ રહ્યું છે. વર્ષોથી ભારતનો અવાજ બની MY FM દેશમાં એક આગવી ઓળખ બનાવી ચૂક્યું છે. હવે એજ વિશ્વાસ અને લોકલ કનેક્ટ સાથે એ જ રેડિયો અનુભવ લઈને આજથી 93.7 MY FM, દમણમાં પણ. ચલો અચ્છા સુનતે હૈ.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:00 am

રખડતાં કૂતરાંઓએ માઝા મૂકી:ભાગડાવડામાં રખડતા કૂતરાંઓનો આંતક, 3 વર્ષના બાળક પર હુમલો

વલસાડ શહેરના પરાં સમાન ભાગડાવડામાં છેલ્લા આઠેક માસથી ગ્રીનપાર્ક, દાદિયા ફળિયા રોડ સહિતના વિસ્તારોમાં રખડતાં કૂતરાંઓએ માઝા મૂકી છે. ગ્રીનપાર્કમાં ગુુરુવારે એક 3 વર્ષીય બા‌‌‌‌‌ળકને કૂંતરાએ અડેફેટે લઇ હુમલો કરી હાથમાં અનેક બચકાં ભરતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાની નોબત આવી હતી. વલસાડ કોસંબા રોડ પર ભાગડાવડાના ગ્રીનપાર્ક વિસ્તારમાં ઘણાં સમયથી રખડતાં કૂતરાંને લઇ રહીશો ભયનો સામનો કરી રહ્યા છે. અહિં રહીશોના નાના બાળકો પર કેટલાક મહિનાથી કૂતરાં કરડવાના ચારથી પાંચ બનાવ બન્યા છે. આ દરમિયાન જ ગુરૂવારે ગ્રીનપાર્ક-2 અને 3ને લાગૂ હદમાં એક ચાર વર્ષીય બાળક બપોરના સમયમાં રમી રહ્યો હતો ત્યારે આ સ્ટ્રીટમાં રખડતાં કૂતરાં ત્યાં આવી ચઢી બાળક પર હુમલો કરતાં હાથમાં બચકાં ભરી લીધાં હતા. બાળકે ચીસાચીસ કરી મૂકતાં આસપાસના લોકોએ અને પરિવાર સભ્યોએ દોડી આવતાં કૂતરાંના ચૂંગાલમાંથી બાળક બચી ગયું હતું. સ્થાનિક આગેવાન અને યુથ કોંગ્રેસના કાર્યકર ઇરફાન કાદરીએ આ મામલે રોષ ઠાલવી કલેકટરને રજૂઆત કરવા તજવીજ હાથ હતી. કાદરીએ જણાવ્યું કે, ભાગડાવડામાં રખડતાં કુતરાં હિંસક બની માનવ વસતીના પરિવારના બાળકો પર હુમલો કરી ઇજા પહોંચાડી રહ્યા છે.કલેકટરને આ અગાઉ આવેદન આપી કૂતરાં મામલે ધટતું કરવા માગ કરી હતી.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:00 am

મતદારોનો મતાધિકાર છીનવી લેવાનો આરોપ:કચડાયેલા વર્ગ,આદિવાસીઓ , મુસ્લિમ વર્ગમાં ફરિયાદ મુદ્દે MLAનો આક્ષેપ

કેટલાક સમયથી સર કાર્યવાહીનો મધપૂડો છેડી કોંગ્રેસે આક્રમકતાથી રાજકીય ગરમાટો ઉભો કર્યો છે. વલસાડ જિલ્લામાં મેપિંગ ડિજિટલાઇઝેશનનો તબક્કો પુરો થઇ ગયા બાદની 2002ની મતદાર યાદીમાં નામ નહિ ધરાવતા મતદારો માટે હિયરિંગની સતત પ્રક્રિયા ચાલી રહી છે. દરમિયાન વલસાડ જિલ્લામાં મતદાર યાદીમાંથી નામો કાઢી નાંખવાના મામલે મોટો વિવાદ ચાલી રહ્યો છે. કોંગ્રેસે આ મામલે ભારે વિરોધ વચ્ચે ધારાસભ્ય અનંત પટેલે આદિવાસીઓ, લઘુમતિ વર્ગ અને ગરીબ કચડાયેલા વર્ગના મતદારોના નામો વાંધા અરજી હેઠળ કાઢી નાંખવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. વાંધા અરજીની વિગતો પણ જિલ્લા ચૂંટણી આપતી નથી તેવો વેધક પ્રશ્ન પટેલે ઉઠાવ્યો છે. જ્યારે બીજી તરફ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારીએ આ સમગ્ર પ્રક્રિયા નિયમ મુજબ થઇ રહી હોવાનો દાવો કર્યો છે. 19મી ડિસેમ્બરના રોજની મુસદ્દા મતદારયાદીમાં સંખ્યાબંધ નામો નહિ નિકળતાં છેલ્લા 20 દિવસથી ભારે દોડધામ ચાલી રહી છે. મતદાર યાદી સઘન પૂન:નિરીક્ષણની પ્રક્રિયા લગભગ પુર્ણ થયા બાદ વિવાદ ઉભો થયો હતો. ઉમરગામ અને પારડી તાલુકાના મતદારોના નામો કાઢી નાંખવા મુદ્દે કલેકટર કચેરીમાં આવેદનો અપાયા ત્યારે સમગ્ર બાબત સપાટી પર આવી હતી. આ મામલે કોંગ્રેસે સરકાર સામે આક્રોશ ઠાલવી તમામ વિરોધ પ્ર ફોર્મ નં.7 ભરીને ઘણાં મતદારોના નામો મતદાર યાદીમાંથી કાઢી નાંખવાનો આક્ષેપ વલસાડ ખાતે કલેકટર કચેરીએ આવેલા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે મીડિયા સમક્ષ કર્યા હતા. મતદારોના નામો કાઢવા આપખુદશાહી છે મતદાર યાદીમાંથી ફોર્મ નં.7 ભરીને મતદારોના નામો કાઢી નાંખી આપખુદશાહી કરવામાં આવી રહી છે ગરીબ આદિવાસી,કચડાયેલા વર્ગ અને લઘુમતિ સમાજમાંથી ઘણાં નામો કમી કરવામાં આવ્યાની ફરિયાદો છે. જિલ્લામાંથી 18 હજાર મતદારોના નામ કાઢી નાંખવાનો કોંગ્રેસ સતત તંત્ર સામે અવાજ ઉઠાવી મતદારોનો મતાધિકાર છીનવી લેવાનું સુનિયોજિક કાવતરૂં રચાઇ રહ્યું છે. > અનંત પટેલ, ધારાસભ્ય, વાંસદા નિયમાનુસાર સમગ્ર પ્રક્રિયામાં પારદર્શીતાવલસાડ જિલ્લામાં ફોર્મ નં.7ની પ્રક્રિયા સંપુર્ણપણે પારદર્શક રીતે ચાલી રહી છે.285966 નોટિસ જનરેટ કરાઇ હતી જેમાંથી 253431 નોટિસ મતદારોને પહોંચાડવામાં આવી હતી.જેની સુનાવણી ચાલી રહી છે.કાયદાકીય જોગવાઇ અનેનિયમોનું ચૂસ્તપણે પાલન કરાઇ રહ્યું છે.ચૂંટણી પંચના નિર્દેશ મુજબ 13 પ્રકારના માન્ય પૂરાવાના આધારે મતદાર યાદીમાં નામ દાખલ કે સુધારાની પ્રક્રિયા થાય છે.કોઇપણ સાચા મતદારનું નામ યાદીમાથી બાકાત નહિ રહી જાય તે માટે તંત્ર પ્રતિબદ્ધ છે. > હેમાંશુ સોલંકી, ડે.જિ.ચૂંટણી અધિકારી 18 ફેબ્રુ. સુધી નામો દાખલ કરી શકાશે 19 ડિસેમ્બરે મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ થયા બાદના એક માસ સુધી 2002ની મતદાર યાદીમાં જેના નામો નહિ નિકળ્યા તેમને નોટિસો જારી કરી પૂરાવાઓ વાંધા અરજીઓ મંગાવી સુનાવણીનો સિલસિલો ચાલૂ કર્યો હતો. 18 ફેબ્રુઆરી સુધી આ પ્રક્રિયા જારી રહેવાની છે. સમગ્ર કાર્યવાહી પૂરી કરી 19 ફેબ્રુઆરી 2026ના રોજ આખરી મતદાર યાદી બહાર પાડવા તંત્રએ કમર કસી છે.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:00 am

વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારંભ યોજાયો‎:કાંજણ રણછોડમાં ધો.10ના વિદ્યાર્થીઓનો પરીક્ષા પૂર્વે આત્મવિશ્વાસ વધારાયો

વલસાડ તાલુકાની કાંજણ રણછોડ ખાતે આવેલી જી.કે. ઇજનેર સાર્વજનિક હાઈસ્કૂલમાં ધોરણ-10ના વિદ્યાર્થીઓને આવનારી બોર્ડ પરીક્ષા માટે શુભેચ્છા પાઠવવા તેમજ શાળાને દાન આપનાર દાતાઓના સન્માન માટે ભવ્ય સમારંભ યોજાયો હતો. શાળાના આચાર્ય જતીનભાઈ એ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી પુષ્પગુચ્છ આપી આવકાર કર્યો હતો. આચાર્યએ શાળાના વિકાસમાં યોગદાન આપનાર તમામ દાતાઓને સન્માનપત્ર એનાયત કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ અવસરે ધોરણ-10ની વિદ્યાર્થીનીઓ પટેલ અક્ષીતા અને ગાયકવાડ પ્રતીક્ષાએ પોતાના શાળા જીવનના સંસ્મરણો ભાવુક શબ્દોમાં રજૂ કરી વલસાડ આચાર્ય સંઘના પ્રમુખ દિનેશભાઈએ ધો.10ના વિદ્યાર્થીઓને ઉદબોધન આપ્યું હતું. જ્યારે અતિથિ નિવૃત્ત મામલતદાર મોરારભાઈ અને જુજવા વિભાગ કેળવણી મંડળના પ્રમુખ સુનિલભાઈ પટેલ, જ્ઞાનકિરણ ઢોડિયા સમાજ ભવન સુરખાઈના પ્રમુખ નટુભાઈ સહિત અન્ય શાળાના આચાર્યો, નિવૃત્ત શિક્ષકો, આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શાળાની શિક્ષિકા બહેન દિવ્યાંગીબેન તથા ડૉ. સરફરાજ ખલીફા અને ભાગડાવાળા ગામના ઉપસરપંચ ગૌરાંગ આહીરે મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા કરી હતી.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:00 am

MLA જીતુ ચૌધરીના હસ્તે ચેકડેમોનું કરાયું ખાતમુહૂર્ત:કપરાડા તાલુકામાં રૂ. 9.57 કરોડના‎ ખર્ચે નવા પાંચ ચેકડેમ બનાવાશે‎

કપરાડા તાલુકામાં જળસંચયને મજબૂત બનાવવા માટે 9.57 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા મોટા ચેકડેમોનું ખાતમુહૂર્ત ગુરુવારે કપરાડાના ધારાસભ્ય હસ્તે કરવામાં આવ્યું હતું. દમણગંગા નદી પર આસલોના બીલિયા ફળિયામાં 360 લાખ તથા આસલોના મોહપાડા ફળિયામાં 345 લાખ રૂપિયાના મોટા ચેકડેમો બનાવાશે. ઉપરાંત કુકુનીયાં ગાંગોડ ફળિયામાં 126 લાખ, પીપરોટી કુજુનિયા ફળિયામાં 54 લાખ અને દાબખલ રસ્તા ફળિયામાં 72 લાખ રૂપિયાના ચેકડેમો સહિત કુલ 9.57 કરોડ રૂપિયાના કામોનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય જીતુ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ મોટા ચેકડેમો બનવાથી વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન માહલા, વિપુલ ભોયા, રમેશ ગાંવિત, સરપંચો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:00 am

આસ્થા અને ભક્તિનો સંગમ થયો:વલસાડમાં શ્રી મોઢેશ્વરી માતા મંદિરના પાટોત્સવમાં ભક્તિ અને ઉલ્લાસનો માહોલ

વલસાડમાં શ્રીમોઢ ઘાંચી પંચ અને મહિલા મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી મોઢેશ્વરી માતાજીનો વાર્ષિક પાટોત્સવ ભક્તિ ભાવપૂર્ણ વાતાવરણમાં રંગે ચંગે ઉજવી ધન્યતાના દર્શન કરાવ્યાં હતા. મોઢ ઘાંચી સમાજના મોભીઓ, અગ્રણીઓ ,સ્નેહી ધર્મપ્રેમી સ્વજનો, મહિલાઓ અને બાળકો સાથે અત્યંત હર્ષ અને ઉલ્લાસ સાથેનો પાટોત્સવ વલસાડના બેચર રોડ ખાતે આવેલ નર્મદા સાંસ્કૃતિક ભવન ખાતે ભક્તિમય અને પવિત્ર વાતાવરણમાં રંગે ચંગે ઉજવવામાં આવ્યો હતો . આ પવિત્ર પાવન અવસરે માતાજીના પૂજન-અર્ચન માટે અગ્રણીઓ મહિલાઓ તથા મોટા પ્રમાણમાં સમાજના ધર્મ પ્રેમી ભાવિક ભકતોએ ઉત્સાહપૂર્વક શુભ પ્રસંગનો લાભ લીધો હતો શ્રીમોઢેશ્વરી માતાજીના પાટોત્સવમાં ભાવિક ભક્તો માટે મહા પ્રસાદનું પણ આયોજન કરાયું હતું.જેમાં સમાજના સૌ ભાવિક ભકતોએ લાભ લીધો હતો. માતાજીના પાટોત્સવને હદયપૂર્વક સફળ બનનાવવા સમસ્ત મોઢ ઘાંચી સમસ્ત પંચના કારોબારી સભ્યો તથા મહિલા મંડળના સભ્યોએ ભારે મહેનત કરી આ પવિત્ર પ્રસંગને દીપાવ્યો હતો. શ્રીમોઢેશ્વરી માતાજી પ્રત્યે સમાજની અપાર શ્રદ્ધા આ સમાજના ભક્તોને તેમની કુળ દેવી શ્રીમોઢેશ્વરી માતાજીમાં અપાર શ્રધ્ધા છે.મોઢ ઘાંચી સમાજની વલસાડમાં સારા પ્રમાણમાં વસતી આવેલી છે.શ્રીમોઢેશ્વરી માતાજી મોઢ ઘાંચી સમાજની કુળ દેવી છે જેની આસ્થાપૂર્વક પૂજાભક્તિ કરી ધન્યતા અનુભવે છે.શ્રીમોઢ ઘાંચી સમાજ દ્વારા વલસાડ બેચર રોડ ઉપર દશેરા ટેકરી પર પંચની મોટી વાડી હોલનું સમાજના વિવિધ પ્રસંગો કાર્યક્રમો માટે નિર્માણ કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:00 am

રમતગમતમાં ઝળહળતી સિદ્ધિ:રાજ્યકક્ષાની રસ્સાખેંચ સ્પર્ધામાં વલસાડની શાહ એન. એચ. કોમર્સ કોલેજ સ્ટેટ ચેમ્પિયન

ગુજરાત રાજ્ય રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગની કચેરી તથા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત ખેલમહાકુંભ 2025 અંતર્ગત રાજ્યકક્ષાની રસ્સા ખેંચ (બહેનો)ની સ્પર્ધા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વ્યારા ખાતે યોજાઈ હતી. જેમાં રાજ્યના ચાર ઝોનમાંથી વિજેતા થયેલી કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો. વલસાડ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતી શાહ એન. એચ. કોમર્સ કોલેજ, વલસાડની ઓપન વિભાગની બહેનોએ શાનદાર પ્રદર્શન કરી તમામ મેચોમાં એકતરફી વિજય મેળવી સ્ટેટ ચેમ્પિયન બની ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. ખેલાડી બહેનોને શારીરિક શિક્ષણ અધ્યાપક તથા એન.સી.સી. ઓફિસર કેપ્ટન ડો. મુકેશભાઈ કે. પટેલ દ્વારા કોચિંગ આપવામાં આવ્યું હતું, જ્યારે કોલેજના સિનિયર ખેલાડીઓએ પણ ટીમને માર્ગદર્શન આપ્યું હતું. આ સિદ્ધિ બદલ ઈન્ચાર્જ આચાર્ય પ્રો. વિજયકુમાર ચાંપાનેરી, કોલેજ સત્તામંડળના હોદ્દેદારો, ટીચીંગ-નોન ટીચીંગ સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા વિજેતા ટીમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:00 am

મ્યુનિ. સત્તાવાર જાહેરાત:એસજી હાઈવેનો 30 કિમી સર્વિસ રોડ વિકસાવવા UN ફાઉન્ડેશન 25 કરોડ આપશે

મ્યુનિ.એ એસજી હાઈવે પર પકવાનથી ઇસ્કોન સુધી સર્વિસ રોડ ડેવલપ કર્યો છે, પણ તેની ડિઝાઇનમાં અસંતોષ જણાતાં હવે બાકીના સર્વિસ રોડને વિકસાવવા અન્ય આર્કિટેક્ટને તેની ડિઝાઇન બનાવવા અપાઈ છે, જેની ફી યુએન ફાઉન્ડેશન ચૂકવશે. સનાથલથી ગાંધીનગર સુધીના સર્વિસ રોડને આઈકોનિક રોડ તરીકે વિકસાવવા માટે મ્યુનિ. દ્વારા કરાયેલા આયોજનમાં પકવાનથી ઇસ્કોન સુધીનો રસ્તો તૈયાર કર્યા બાદ હવે મ્યુનિ. સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે, હવે આ રોડનું આર્કિટેક્ચરનું કામ સીએસઆર ફંડમાં યુ. એન. મહેતા ફાઉન્ડેશન દ્વારા ચૂકવાશે. આ રસ્તા માટે આર્કિટેક્ટ તરીકે અનિકેત ભાગવતને કામગીરી સોંપવામાં આવશે. સનાથલથી ગાંધીનગર જે-7 સર્કલ સુધીના રસ્તાને આઇકોનિક રોડ તરીકે વિકસાવવા માટે મ્યુનિ. દ્વારા કામગીરી શરૂ કરવામાં આ‌વી છે ત્યારે પ્રથમ તબક્કામાં સેમ્પલ તરીકે તૈયાર કરવામાં આવેલા સેમ્પલ રોડથી જ મ્યુનિ.ના અધિકારીઓ- પદાધિકારીઓને અસંતોષ થયો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે હવે આ કામગીરીની જવાબદારી સીએસઆર ફંડમાં જ યુ. એન. મહેતા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે. આ કામગીરી માટે 25 કરોડ જેટલા ખર્ચ થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ યુ. એન. મહેતા ફાઉન્ડેશન દ્વારા ટાઉન હોલ તેમ જ વી.એસ. સ્મશાનગૃહનું સીએસઆર ફંડ હેઠળ રિનોવેશન કરવામાં આવી રહ્યું છે ત્યારે એસ.જી. હાઈવેને આઇકોનિક રોડ તરીકે ડિઝાઇન માટે આર્કિટેક્ટની ફી ચૂકવીને વધુ એક કામગીરી સીએસઆર ફંડ હેઠળ કરવામાં આવશે. અગાઉ કોન્ટ્રાક્ટરે સમયસર કામ નહી કરતાં તંત્ર ખફાપકવાનથી ઇસ્કોન સુધીની કામગીરીમાં પણ તંત્રને સંતોષ ન થતાં આ રીતે સનાથલથી ગાંધીનગર સુધીના રોડની અલગ ડિઝાઈન તૈયાર કરવાની છે. નોંધનીય છે કે, આ કામગીરી જે કન્સલટન્ટને આ કામગીરી સોંપાઈ હતી તેની પાસે અન્ય કામગીરી હોવા છતાં પણ ઝડપથી કામગીરી નહીં થતાં તંત્રને આ કામગીરીમાં અસંતોષ હોવાનું મનાઈ રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:00 am

ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:આપણાં સાંસદોએ ફોટોશોપ તસવીરો, રોડના બદલે પાસબુક અપલોડ કરી વિકાસ ગણાવ્યો

જૈનુલ અન્સારી સાંસદોને વિકાસકામ માટે મળતી કરોડોની ફાળવણીનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થઈ રહ્યો છે, તે અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. મેમ્બર ઓફ પાર્લિમેન્ટ લોકલ એરિયા ડેવલોપમેન્ટ (MPLAD) સ્કીમ હેઠળ દરેક સાંસદને દર નાણાકિય વર્ષે 5 કરોડ રૂપિયાની ફાળવણી થાય છે. જોકે, દિવ્ય ભાસ્કરની તપાસમાં સામે આવ્યું છે કે, ગુજરાતમાં આ યોજનાના અમલીકરણમાં પારદર્શિતાનો ગંભીર અભાવ જોવા મળ્યો છે. તમાસમાં સામે આવ્યું છે કે, અલગ-અલગ કામમાં એક જ પ્રકારના કામ પૂર્ણ થયાના સર્ટિફિકેટ, ફોટોશોપ કરેલું લખાણ, બેંક પાસબુક સહિતના શંકા ઉપજાવે તેવા ફોટા સહિતની બાબતો મળી આવી છે. ગુજરાતમાં MPLAD સ્કીમ હેઠળ 1165 કામો પૂર્ણ થયાનું દર્શાવવામાં આવ્યું છે, પરંતુ તેમાંના 781 કામોના જ દસ્તાવેજ પોર્ટલ પર અપલોડ કરાયા છે. એટલે કે, ત્રીજુંથી વધુ કામો એવા છે, જે પૂર્ણ બતાવવામાં આવ્યા છે, પરંતુ તેનું કોઈ જાહેર દસ્તાવેજી પુરાવું પોર્ટલ પર ઉપલબ્ધ નથી. જે કામોના દસ્તાવેજ અપલોડ કરાયા છે, તેમાં પણ મોટાભાગે માત્ર કામ પૂર્ણ થયાનું પ્રમાણપત્ર મૂકવામાં આવ્યા છે. કામ શરૂ થાય તે પહેલાંના અને પૂર્ણ થયા પછીના જીઓ-ટેગ સાથેના સાઇટ ફોટા જે પારદર્શિતાનો મુખ્ય આધાર ગણાય છે તે બહુ ઓછા સાંસદોએ અપલોડ કર્યા છે. 26માંથી 15 સાંસદોએ જ 195 કામમાં ફોટા અપલોડ કર્યા છે. જ્યારે 11 સાંસદોએ તો ફોટા જ અપલોડ નથી કર્યા. તપાસમાં સામે આવ્યું છે કે અનેક કામોમાં ફોટા અપલોડ કરાયા છે, પરંતુ તે ફોટા કામ સાથે મેળ ખાતા નથી. ક્યાંક બેંકની પાસબુકના ફોટા, તો ક્યાંક ફોટોશોપ કરેલા ફોટા અપલોડ કરાયા છે. કેટલાક કેસમાં તો અલગ-અલગ કામ માટે એક જ દસ્તાવેજ વારંવાર ઉપયોગમાં લેવામાં આવ્યો છે. ઉપરાંત સાબરકાંઠા સંસદિય વિસ્તારના રોઝડ ગામમાં હેન્ડપંપ બનાવવાના કામ માટે 2.5 લાખ રૂપિયાનો ખર્ચ બતાવાયો છે. જોકે, ફોટા જોયા પછી લાગતું નથી કે તેની પાછળ આટલો ખર્ચ કરાયો હશે. કચ્છ જિલ્લાની સ્થિતિ વધુ ચિંતાજનક છે. અહીં MPLAD પોર્ટલ પર હાથથી લખેલા કાગળોના સ્કેન અપલોડ કરાયા છે. કોમ્પ્યુટરાઇઝ્ડ, પ્રમાણિત અને ટ્રેસ કરી શકાય તેવા દસ્તાવેજોની જગ્યાએ આવા કાગળો અપલોડ થવાથી સમગ્ર પ્રક્રિયાની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઊભા થાય છે. બોર્ડ મૂકાયા પણ કામ કઈ જગ્યાએ કરાયું તેનો કોઈ ઉલ્લેખ જ નથી કામનું નામ: વિવિધ જગ્યાએ જળ સંચયનું કામખર્ચ: 5.25 લાખ રૂપિયાડોક્યુમેન્ટમાં શુ મૂક્યું: જે ફોટા અપલોડ કરાયા છે તેમાં ક્યા ગામે જળ સંચયની કામગીરી કરાઈ છે તેનું ઉલ્લેખ નથી. જે જગ્યાએ કામ કરાયું છે ત્યાં ફક્ત પથ્થર પાથરીને ફોટો અપલોડ કરાયું હોય તેવું લાગે છેસાંસદનું નામ: નવસારી, સી.આર.પાટીલ, કેન્દ્રીય મંત્રી પેવર બ્લોકના કામમાં સીસી રોડના ડોક્યુમેન્ટ કામનું નામ: દેવીપુર ગામની સ્કૂલ પાસે સુખપુર ગામમાં પેવર બ્લોકનું કામખર્ચ: 3.50 લાખ રૂપિયાશું અપલોડ કરાયું: સેલાભાઈ ભરવાડના ઘરથી રાયધનભાઈના ઘર સુધી સી.સી. રોડનું કામના ડોક્યુમેન્ટ અપલોડ કરાયાસાંસદનું નામ: ચંદુભાઈ છગનભાઈ સિહોરા, સુરેન્દ્રનગર ફોટોશોપ કરીને ફોટો અપલોડ કરી દેવાયો કામનું નામ: જાંબુઘોડા તાલુકાના ગીરીરાજ ગ્રામ વિદ્યાપીઠમાં શૌચાલયખર્ચ: 5 લાખ રૂપિયાડોક્યુમેન્ટમાં શુ મૂક્યું: ડોક્યુમેન્ટમાં જે ફોટો અપલોડ કર્યો છે. તેમાં શૌચાલય લાગતું નથી. ઉપરાંત શૌચાલયની બહાર જે તકતી લગાવી છે તેમાં ‘શૌચાલય’ ફોટોશોપ કરીને લખ્યું છે. સાંસદનું નામ: જશુભાઈ ભીલુભાઈ રાઠવા, છોટા ઉદેપુર કમ્પ્યુટર નહીં પેનલનું સર્ટિફિકેટ અપલોડ કામનું નામ: વોર્ડ નંબર 6માં પ્રાયમરી સ્કૂલમાં કોમ્પ્યુટ સેટનું ઇન્સ્ટોલેશનખર્ચ: 49,800 રૂપિયાશું અપલોડ કરાયું: કોમ્પ્યુટરના કામની જગ્યાએ સ્માર્ટ પેનલની ખરીદીનું કામ બતાવાયુંસાંસદનું નામ: મુકેશ ચંદ્રકાંત દલાલ, સુરત આરસીસી રોડના બદલે બેંક પાસબુકનો ફોટો કામનું નામ: પીપલછટ ગામે અમરસિંગ છતરસિંહના ઘરેથી નવરતસિંગના ઘર તરફ આરસીસી રોડ બનાવવાની કામગીરી ખર્ચ: 5 લાખશું અપલોડ કરાયું: બેંક પાસબકસાંસદનું નામ: ડૉક્ટર હેમાંગ જોષી, વડોદરા પેવર બ્લોકના બદલે શેડનું સર્ટિફિકેટ અપલોડ કામનું નામ: કરોલ ગામના રામદેવપીર મંદિર પાસે પેવર બ્લોકનું કામ ખર્ચ: 3 લાખ રૂપિયાશું અપલોડ કરાયું: પ્રાંતિજ તાલુકાના અમિનપુર ગામમાં શેડ નખાયુંસાંસદનું નામ: શોભનાબેન મહેંદ્રસિંહ બારિયા, સાબરકાંઠા પાણીની લાઇનના કામમાં આરસીસી સર્ટિફિકેટ કામનું નામ: કપડવંજ તાલુકામાં ભુંગળિયા તાબે ગામમાં શાળાવાળા ફળિયામાં પાણીની લાઇન નાખવાનું કામ ખર્ચ: 2 લાખ રૂપિયાશું અપલોડ કરાયું: કુંભારિયા વિસ્તારમાં આરસીસીના રોડના ડોક્યુમેન્ટ અપલોડ કર્યાસાંસદનું નામ: દેવુસિંહ ચૌહાણ, ખેડા

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:00 am

અકસ્માત સર્જાયો:બસના પાછળના ભાગે ટેમ્પો ભટકાયો, મોટી દુર્ઘટના ટળી

નવસારી જિલ્લાના ધોળાપીપળા વિસ્તારમાં નેશનલ હાઇવે-48 પર બ્લેક સ્પોટ પર અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદથી મુંબઈ તરફ જતાં માર્ગ પર ગુજરાત પાસિંગની બસ અને મહારાષ્ટ્ર પાસિંગ ધરાવતા ટેમ્પો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અથડામણમાં બન્ને વાહનોને નુકસાન પહોંચ્યું છે. નવસારીના હાઇવે 48 પર ધોળાપીપળા વિસ્તારમાં બપોરના સમયે બસ (નં. GJ-14-Z-2611) પસાર થતી હતી ત્યારે પાછળથી આવેલ ટેમ્પો (નં. એમએચ - 43-બીજી-4955)એ અથડાવી દેતા બન્ને વાહનોને નુકસાન થયું હતું. અકસ્માતમાં ટેમ્પોનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો, જ્યારે બસને પણ નુકસાન થયું હતું. અકસ્માતને પગલે હાઇવે પર થોડો સમય માટે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ હતી અને વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ઘટનાની જાણ થતા જ વેસ્મા આઉટ પોસ્ટ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ પરથી હટાવી વાહનવ્યવહાર પૂર્વવત કરાવવાની કામગીરી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:00 am

વરણી:નવસારીના મહાદેવ દેસાઈની રાષ્ટ્રીય કક્ષાએ ઉપપ્રમુખ તરીકે પસંદગી

શિરડીમાં યોજાયેલી AIFRUCTO ની ચોથી રાષ્ટ્રીય કોન્ફરન્સમાં નવસારીના પ્રો. મહાદેવ દેસાઈની વર્ષ 2026-29 માટે વેસ્ટ ઝોનના ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વરણી થઈ છે. કાર્યક્રમમાં ડૉ. ભાલચંદ્ર મુણગેકરની અધ્યક્ષતામાં 8માં પગાર પંચ અને શિક્ષણના ખાનગીકરણ જેવા મુદ્દે ચર્ચા થઈ હતી. ગુજરાતના અન્ય પ્રતિનિધિઓની પણ વિવિધ સમિતિઓમાં પસંદગી થતા રાજ્યનું ગૌરવ વધ્યું છે.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:00 am

ભાસ્કર બ્રેકિંગ:નવસારી-ડાંગના 4 તાલુકા મથકોએ‎ હાલ ‎પાલિકા નહી, માત્ર શહેર જેવી‎ સુવિધા વધશે‎

નવસારી-ડાંગ જિલ્લાના 4 તાલુકા મથકોમાં હાલ પાલિકા બનશે નહીં માત્ર શહેર જેવી સુવિધા જ વધશે. નવસારી જિલ્લામાં બે તાલુકા મથક નવસારી અને ગણદેવીમાં મહાપાલિકા અને પાલિકા છે પણ અન્ય ત્રણ તાલુકા મથકોની વસ્તી વધવા છતાં પાલિકા બની નથી,જેમાં ખેરગામ માટે સ્થાનિક સરકારી લેવલેથી રાજ્ય કક્ષાએ દરખાસ્ત ગઇ છે તો વાંસદા માટે સાંસદની રજૂઆત ઉપરાંત સ્થાનિક કક્ષાએથી માંગ પણ છે. અન્ય એક તાલુકા મથક ચીખલીમાં પણ નજીકના ગામ ભેળવી પાલિકા બનાવવાની માંગ થતી રહી છે. નવસારીના 3 તાલુકા મથક ઉપરાંત નજીકના ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા માટે પણ સાંસદની રજૂઆત અને માંગ થઈ છે. આ તમામ બાબતો, ખાસ કરીને સાંસદની પણ રજૂઆત જોતા પાલિકાની જાહેરાત થવાની આશા હતી. જોકે હાલ તુરંત આશા ફળીભૂત થાય એમ નથી. ખાસ કરીને ચાર દિવસ પહેલા મુખ્યમંત્રીએ જે પાલિકા નથી,વસ્તી 10 હજારથી વધુ છે તેવા તાલુકા મથકોએ મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના હેઠળ માત્ર શહેર જેવી સુવિધા વધારવાની જાહેરાત કરી હતી, નવી પાલિકાની વાત કરી નહીં. પંચાયતોના બેઠકોના નવા સીમાંકને પણ સ્થિતિ સ્પષ્ટ કરી‎જ્યાં મુખ્યમંત્રીએ તાલુકા મથકોની ગ્રામોત્થાન યોજના હેઠળ શહેર જેવી સુવિધા વધારવાની જાહેરાત કરી તો બીજી એક બાબતે નવી પાલિકા હાલ બનવાની વાત ઉપર પુર્ણવિરામ મૂક્યું એ આગામી જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી અંતર્ગત બેઠકોના જાહેર થયેલ સીમાંકન છે. આ નવા સીમાંકનમાં તાલુકા મથક ગામોને પણ લઈ લેવાયા છે. આ સ્થિતિમાં ચૂંટણી બાદ નજીકના સમયમાં નગરપાલિકા બનાવવા બેઠકો અને સીમાંકન ખોરવાય એ શક્યતા ખૂબ ઓછી છે. બીજું કે આગામી સમયમાં વસ્તી ગણતરી પણ શરૂ થવાની વાત બહાર આવી છે. વસ્તી ગણતરી પૂર્ણ થાય અને તેના સત્તાવાર આંક જાહેર થવામાં ઓછામાં ઓછા બે થી ત્રણ વર્ષ લાગી શકે છે. વસ્તીના આંક જાહેર થતા ચોક્કસ વસ્તીનો આંક પણ મળી શકે,જે પાલિકા બનાવવાનો મુખ્ય માપદંડ છે. સમગ્ર રાજ્યમાં ડાંગ એકમાત્ર પાલિકા વિનાનો જિલ્લો.. રાજ્યના કુલ 33 જિલ્લાઓ આવેલા છે. આ જિલ્લાઓમાં અનેકના ચાર પાંચ પાલિકા અને મહાપાલિકા પણ છે.એક યા બે નાના જિલ્લામાં એક પાલિકા પણ છે. જોકે અહીંનો જંગલ પર્વતોથી ઘેરાયેલ ડાંગ જિલ્લામાં એકપણ પાલિકા નથી. અહીંના મુખ્ય મથક આહવામાં પણ નથી. આ સ્થિતિમાં અહીં આહવામાં પાલિકા બનાવવાની માંગ એક વર્ગમાંથી ઉઠી છે તો ચૂંટાયેલ ટોચના પ્રતિનિધિઓએ પણ સરકારમાં રજૂઆત પણ કરી છે જોકે અહીં પણ નજીકમાં પાલિકા બને એમ નથી. લોકસભાના સાંસદની પણ નવી પાલિકાની રજૂઆત.. નવસારી અને ડાંગ જિલ્લામાં વધેલી વસતી તથા વિકાસને જોતા સ્થાનિક લોકો યા સ્થાનિક ચૂંટાયેલ પ્રતિનિધિઓએ જ નગરપાલિકાઓની માંગ કરી નથી પણ સાંસદ ધવલ પટેલે પણ થોડા સમય અગાઉ તેમના મત વિસ્તારમાં આવતા નવસારીના વાંસદા તથા ડાંગ જિલ્લાના આહવામાં પાલિકા બનાવવાની રજૂઆત સરકારમાં કરી હતી. જોકે હાલ નજીકના દિવસોમાં શક્યતા ઓછી જણાય છે.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:00 am

કાર્યવાહી:ભરૂચમાં 9 દિવસમાં સફેદ હેડલાઇટના 94 કેસ કરાયાં

ભરૂચ જિલ્લામાં ચાલતા વાહનો માં સફેદ હાઈબીમ એલઈડી લાઈટ ચાલુ રાખીને વાહન ચલાવતા આરટીઓ વિભાગ રૂપિયા 5 હજાર સુધીનો દંડ ફટકારી રહી છે. રાષ્ટ્રીય, રાજ્ય માર્ગો અને જિલ્લા માર્ગો વાહનોમાં સફેદ હાઈબીમ એલઈડી લાઈટ ના કારણે માર્ગ અકસ્માતો વધી જાય છે. આ અકસ્માત ઘટાડવા માટે આવાં વાહનો સામે કડક એન્ફોર્સમેન્ટ ડ્રાઈવ કરાવવા સૂચન મળતા ભરૂચ આરટીઓ વિભાગે જિલ્લાના માર્ગોપર ખાસ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન આવા વાહન પકડી રૂપિયા 5 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. હાલ રાત્રિ દરમિયાન આરટીઓ વિભાગની ટિમ અલગ અલગ વિસ્તારોમાં ફરીને આવા વાહન પકડી તેને મેમો આપી રહ્યાં છે. જેમાં 23 થી 31 જાન્યુઆરી દરમિયાન આરટીઓ વિભાગે 94 નાના મોટા વાહનોને સફેદ હાઈબીમ એલઈડી લાઈટ ચાલુ રાખતા તેમને રૂપિયા 4.70 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમજ આગામી દિવસોમાં પણ આરટીઓ વિભાગ સફેદ હાઈબીમ એલઈડી લાઈટ નો વપરાશ કરતા વાહનો પકડાશે તો રૂપિયા 5 હજાર દંડ કરશે. આ લાઈટ સામેના વાહન ચાલક પર પડતા અકસ્માત થવાની સંભાવના વધી જાય છે. આવા અકસ્માતને રોકવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સફેદ લાઇટ થોડા સેકંડ માટે દેખાતુ બંધ કરે છે‎ભરૂચ સામે આવતી સફેદ હાઈબીમ આંખોને ચમકાવી દે છે. જેના કારણે થોડા સેકંડ માટે ટેમ્પરરી બ્લાઈન્ડનેસ થઈ શકે છે. તેવી સ્થિતિમાં અકસ્માતનું જોખમ વધી જાય છે. ડ્રાઈવર રસ્તો, ખાડો કે પદયાત્રી ન જોઈ શકે. ખાસ કરીને બાઈક ચાલકો માટે વધુ જોખમી. વારંવાર આવી તેજ લાઈટ પડે તો આંખોમાં પાણી આવે, દુખાવો થાય. લાંબા ગાળે નજર પર ખરાબ અસર પડી શકે છે. એલઇડી લાઇટનો ઉપયોગ ટાળો, માન્ય હોય તેનો જ ઉપયોગ કરોવડી કચેરી ની સૂચના મુજબ અમે ગત મહિના દરમિયાન 94 જેટલા કેસ કરીને 4.50 લાખથી વધુની વસૂલાત કરવામાં આવી છે. મારી પબ્લિકને વિનંતી છે કે વાહનનમાં એલઇડી લાઇટનો ઉપયોગ કરવો નહીં જે માન્ય હોય તેનો જ ઉપયોગ કરવો જોઈએ તેથી અકસ્માતમાં ઘટાડો થશે. આરટીઓ તરફથી લોકોને જાગૃત કરવામાં આવશે તેમ છતાં લોકો નહીં સમજે તો દંડાત્મક પગલાં લેવામાં આવશે. > પી.આર. પઢિયાર, એઆરટીઓ

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:00 am

ભાસ્કર ફોલોઅપ:ભરૂચ હાઇવે પર અકસ્માતમાં ઘાયલ પ્રિન્ટિંગ પ્રેસના માલિકનું પણ મોત

ભરૂચમાં નેશનલ હાઇવે -48 પર કેમાતુર કંપની પાસે મોપેડને ટેન્કરે ટકકર મારતાં ઘવાયેલાં પ્રિન્ટીંગ પ્રેસના માલિકનું પણ વડોદરામાં સારવાર દરમિયાન મોત થયું છે. અકસ્માત સર્જનાર ટેન્કર ડ્રાઇવરનો વિડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે જેમાં નશાની હાલતમાં ડ્રાઇવર ટેન્કર બેફામ રીતે ચલાવી રહયો હોવાનું દેખાઇ રહયું છે. ભરૂચ નજીક નેશનલ હાઇવે 48 પર થયેલા ગંભીર અકસ્માતમાં મોપેડ પર જઈ રહેલા બે યુવાનોના કરૂણ મોત નિપજ્યા છે. બેદરકારીપૂર્વક હંકારવામાં આવેલા ટેન્કરે મોપેડને જોરદાર ટક્કર મારી હતી. જેના પગલે આ દુર્ઘટના સર્જાઈ હતી.અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે દરમિયાન અન્ય કાર ચાલકે તેનો પીછો કરી ભયજનક રીતે ટેન્કર હંકારતો હોવાનો વિડીયો બનાવી લીધો, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પીછો કરવામાં આવતા ટેન્કર ચાલકે ટેન્કર રોડની બાજુમાં ઉતારી દીધું હતું.સ્થાનિકોમાં ટેન્કર ચાલક નશાની હાલતમાં હોવાના આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે. અકસ્માતમાં મોપેડ સવાર પ્રતિક મકવાણાનું ઘટનાસ્થળે મોત થયું હતું જયારે પ્રિન્ટીંગ પ્રેસના માલિક પિનેશ દલાલને સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યાં હતાં જયાં તેમણે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. આમ અકસ્માતમાં માલિક અને કારીગર બંનેના મોત થયાં છે. તેઓ મોપેડ પર સામાન આપવા જઇ રહયાં હતાં ત્યારે માર્ગમાં કાળનો કોળિયો બની ગયાં હતાં.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:00 am

16મી તારીખ સુધી 7738 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે‎:ભરૂચમાં બે સત્રમાં 892 છાત્રોએ ધો-12ની પ્રાયોગિક પરીક્ષા આપી

ભરૂચ જિલ્લામાં 5 ફેબ્રુઆરીથી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા નો પ્રારંભ થયો છે. આ પરીક્ષા આગામી 16 ફેબ્રુઆરીએ દરમિયાન સુધી લેવામાં આવશે. ભરૂચ જિલ્લામાં ધોરણ- 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં ગ્રુપ -A ધરાવતા વિદ્યાર્થીઓ વિષય 53-રસાયણ વિજ્ઞાન, 55-ભૌતિક વિજ્ઞાન અને ગ્રુપ B ધરાવતા વિદ્યાર્થીઓ વિષય 53-રસાયણવિજ્ઞાન, 55-ભૌતિક વિજ્ઞાન તેમજ 57 - જીવવિજ્ઞાન વિષયની પ્રાયોગિક પરીક્ષા આપનાર છે. જિલ્લાના અંકલેશ્વર, ભરૂચ અને જંબુસર આમ ત્રણ તાલુકામાં 9 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કુલ 313 સેશનમાં 7738 વિદ્યાર્થીઓ પ્રાયોગિક પરીક્ષા આપશે. જિલ્લા શિક્ષણ અધિકારી સભ્ય તરીકે સમગ્ર જિલ્લામાં કામગીરી નિભાવે છે. આમ પ્રથમ દિવસે પ્રાયોગિક પરીક્ષામાં પ્રથમ સેશનમાં 470 માંથી 469 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે 1 વિદ્યાર્થી કોઈ કારણ સર ગેરહાજર રહ્યા હતા. તેમજ સેશન-2 માં 426 માંથી 423 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી જ્યારે 3 વિદ્યાર્થીઓ કોઈ કારણ સર ગેરહાજર રહ્યા હતા. આમ શાંતિપૂર્ણ માહોલમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પ્રાયોગિક પરીક્ષા યોજાઈ હતી. આમ આ પરીક્ષા પૂર્ણ થયા બાદ બોર્ડની પરીક્ષા શરૂ થશે.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:00 am

દરેક જૂથ પોતાના દાવેદારોને મૂકવા માગતું હોવાથી જાહેરાતમાં વિલંબ‎:ભરૂચ જિલ્લાના ભાજપમાં જૂથવાદથી સંગઠનની રચનાનું કોકડું ભારે ગુંચવાયું

ભરૂચ જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદ ચાલી રહયો હોવાથી સંગઠનની રચનાની કાર્યવાહી અટકી પડી છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેવામાં સંગઠનની રચના કરવામાં નહિ આવતાં કાર્યકરોમાં કચવાટ જોવા મળી રહયો છે. થોડા મહિનાઓ પહેલાં પ્રદેશમાંથી આવેલાં નિરિક્ષકોએ સેન્સ લીધા હતાં પણ તેમાં દરેક નેતાએ તેમના માનીતાઓની યાદી આપી હતી. દરેક જૂથની અલગ અલગ યાદીના કારણે મોવડી મંડળ પણ અવધવમાં મુકાયું છે. જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સામે ભાજપના જ અનેક નેતાઓ મોરચો ખોલીને બેઠા છે. અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખના કથિત ઓડિયોકાંડ બાદ અંકલેશ્વર ભાજપમાં ચાલતો વિખવાદ સામે આવી ગયો છે. હવે જિલ્લાના સંગઠનની રચનામાં વિલંબ થઇ રહયો છે. ભાજપનું એક જૂથ જિલ્લા પ્રમુખને બદલવા માટે જોર લગાવી રહ્યું છે. ચૂંટાયેલી પાંખ અને પ્રમુખ વચ્ચે ચાલતા વિખવાદના કારણે સંગઠનની જાહેરાત કરવામાં આવતી નથી. હોદ્દો મળશે તેને ટિકિટ નહિની રણનિતિઆગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ આવી રહી છે. જે આગેવાનોને જિલ્લા કે અન્ય સંગઠનમાં સ્થાન આપવામાં આવશે તેમને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં ટિકિટ નહિ આપવાની રણનિતિ છે. નવા સંગઠનમાં યુવા અને શિક્ષિત ચહેરાઓની સાથે અનુભીઓને પણ સ્થાન અપાઇ શકે છે. હાલતો દાવેદારોમાં ભારે ઉત્કન્થા છે.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:00 am

સહારા કૌભાંડ:સહારામાં 5.63 લાખ ગુજરાતીના 3,881 કરોડ રૂપિયા ફસાયેલા છે!

24 હજાર કરોડના સહારા કૌભાંડમાં રોકાણકારાએ ગુમાવેલા રૂપિયા પરત કરાઇ રહ્યા છે. આ માટે રોકાણકારે જરૂરી દસ્તાવેજ સાથે ઓનલાઇન પોર્ટલ પર અરજી કરવાની હોય છે. કેન્દ્ર સરકારે સંસદમાં આપેલી માહિતી મુજબ, અત્યાર સુધી રિફંડ મેળવવા 1.43 કરોડ લોકોએ ક્લેમ અરજી કરી છે. તેની કુલ રકમ 97412 કરોડ છે. જે કૌભાંડમાં સંડોવાયેલા રૂપિયા કરતાં ચાર ઘણા વધુ છે. ગુજરાતમાંથી 5.63 લાખ લોકોએ 3881 કરોડ પરત મેળવવા અરજી કરી છે. જો કે અત્યાર સુધી અરજી ચકાસીને 55 હજાર લોકોને 137 કરોડ ચૂકવાયા છે. સહારાની સહકારી સોસાયટીમાં રોકાણ કરનાર દેશના 39 લાખ લોકોને અત્યાર સુધી 8430 કરોડ ચૂકવાયા છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 2228 કરોડ ચૂકવાયા છે. પરંતુ ઉત્તર પ્રદેશમાંથી 35 લાખથી વધુ લોકોએ 23081 કરોડ ક્લેમ કર્યા છે. જે લગભગ સમગ્ર સહારા કૌભાંડમાં સંડોવાયેલી રકમ જેટલા છે. 39 લાખ રોકાણકારોને8430 કરોડ પરત કરાયાહાલ સુધી 39.46 લાખ રોકાણકારને રૂ. 8429 કરોડ પરત કરાયા છે. જે-તે સમયે રોકાણકારાએ સહારા ગ્રૂપની 4 સહકારી બેન્ક; સહારા ક્રેડિટ કો-ઓ., સહારાયન યુનિવર્સલ મલ્ટી પર્પઝ સોસાયટી, હમારા ઇન્ડિયા ક્રેડિટ સોસાયટી, સ્ટાર મલ્ટીપર્પઝ સોસાયટીમાં રૂપિયા ડિપોઝિટ કર્યા હતા. આધાર લિન્ક બેન્ક ખાતામાં 50 હજારની મર્યાદામાં રિફંડ2023માં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઑફ કો-ઓપરેટિવ સોસાયટી(CRCS)-સહારા રિફંડ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં અસરગ્રસ્તોએ અરજી કરવાની હોય છે. હાલમાં, સહારામાં રોકાણ કરનારને આધાર સાથે જોડાયેલા બેન્ક ખાતામાં રૂ. 50 હજારની મર્યાદામાં ચૂકવણી કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:00 am

મનપા દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ:છાંયાના મુખ્ય માર્ગને આઇકોનિક રોડ બનાવવા ટૂંક સમયમાં વર્ક ઓર્ડર અપાશે

પોરબંદરનો છાંયા મુખ્ય માર્ગ આઇકોનિક રોડ બનાવવામાં આવશે. આ રોડ માટેનું રૂ.15 કરોડના ખર્ચે 2.5 કિમીના આઇકોનિક રોડ બનાવવા ટેન્ડર કર્યું હતું અને હવે ટેન્ડર સમય પૂર્ણ થયો છે ત્યારે ટૂંક સમયમાં વર્ક ઓર્ડર આપવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા છાંયા મુખ્ય માર્ગ પર પણ આઇકોનિક રોડ બને તેવું આયોજન કર્યું હતું. મનપા દ્વારા પ્રથમ વખતના બજેટમાં આઇકોનિક રોડ બનાવવાની જાહેરાત કરી હતી. મનપાના કમિશનર પ્રજાપતિની સૂચના મુજબ આઇકોનિક રોડ બનાવવા પ્રક્રિયા હાથ ધરી છે. કમિશનર પ્રજાપતિએ જણાવ્યું હતુકે, છાંયા ચોકી ચાર રસ્તાથી છાંયા મુખ્ય માર્ગને આધુનિક રીતે આઇકોનિક રોડથી મઢવામાં આવશે જે આ વિસ્તાર માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. રૂ. 15 કરોડના ખર્ચે 2.5 કીમોનો આઇકોનિક રોડ બનાવવા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી અને ટેન્ડરનો સમય પૂર્ણ થયો છે ત્યારે આગામી ટૂંકા દિવસોમાં જ આઇકોનિક રોડ બનાવવા વર્ક ઓર્ડર આપવામાં આવશે. આઇકોનિક રોડ કેવી સુવિધા હશે ? પોરબંદરના છાંયા ચાર રસ્તેથી છાંયા મુખ્ય રોડ પર 2.5 કીમોનો આઇકોનિક રોડમાં ફૂટપાથ, ડીવાઈડર, ક્રોસિંગ, પાર્કિંગ લેન, યુટિલિટી ડક્ટ, ડેકોરેટિવ લાઈટિંગ, બસ સ્ટોપ અને વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવામાં આવશે. કમલાબાગ રોડ સામાન્ય આઇકોનિક રોડ‎કમલાબાગ હાઈવે થી કર્લી પુલ નજીકના હાઈવેને આઇકોનિક નામ‎આપવામાં આવ્યું છે. અંદાજિત રૂ.1 કરોડના ખર્ચે આ રોડના ક્રાઇટ‎એરિયા મુજબની સુવિધા આ રોડ પર ઉપલબ્ધ નથી. આ રોડ પર માત્ર‎બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે તેવું પ્રબુધ્ધ નાગરિકોએ જણાવ્યું હતું.‎ અગાઉ છાંયા રોડ પરના ઓટલા દૂર કર્યા હતાછાંયા રોડને આઇકોનિક રોડ બનાવવા માટેનું આયોજન કરી છાંયા મુખ્ય રોડ પર દુકાનોના ઓટલા દબાણ દૂર કરાવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 4:00 am

ગેરકાયદેસર બાંધકામો મામલે કમિશનર અકળાયા:બાંધકામ તોડવા પોલીસ બંદોબસ્ત ના મળતો હોય તો હું સાથે આવું, એસ્ટેટ અધિકારીઓને નીચું જોવું પડ્યું

શહેરમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર બાંધકામો મામલે મ્યુનિસિપલ કમિશનરે ઉચ્ચ અધિકારીઓ સહિત એસ્ટેટ વિભાગના અધિકારીઓનો ઉધડો લઈ લીધો હતો. ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા માટે એસ્ટેટ વિભાગના અધિકારીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત મળતો ન હોવાનો જવાબ આપવામાં આવતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અકળાઈ ઊઠ્યા હતા અને કહ્યું હતું કે, જો પોલીસ બંદોબસ્ત ના મળતો હોય તો હું તમારી સાથે આવું પરંતુ ગેરકાયદેસર બાંધકામો તોડવાના છે. મ્યુનિસિપલ કમિશનરનો જવાબ સાંભળીને એસ્ટેટ વિભાગના અધિકારીઓને નીચું જોવાનો વારો આવ્યો હતો. રીવ્યુ બેઠકમાં સ્ટ્રીટ લાઈટ અંગે ફરિયાદ કરવામાં આવીવિકલી રીવ્યુ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા ગાર્ડન વિભાગનો પણ પ્રશ્ન કર્યો હતો. ગાર્ડન વેસ્ટ કલેક્શન માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે કે નહીં જેથી તેમાં ગાર્ડન વેસ્ટ કલેક્શન અંગે સાથે ઝોનના દસ દસ લાખ રૂપિયાના ટેન્ડર થઈ ચૂક્યા હોવાનું ગાર્ડન વિભાગના અધિકારીઓ જણાવ્યું હતું. રીવ્યુ બેઠકમાં એક ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્ટ્રીટ લાઈટો અંગે ફરિયાદ કરવામાં આવી હતી. પૂર્વ વિસ્તારમાં તળાવ અને ગાર્ડન ડેવલોપમેન્ટ થયા બાદ લાઈટના કામો ન થયા હોવા અંગેની ફરિયાદ કરી હતી. મ્યુનિસિપલ કમિશનરે વિકલી રીવ્યુ બેઠકમાં પ્રશ્ન કર્યો જ્યારે નાઈટ રાઉન્ડ દરમિયાન તેઓ નીકળ્યા. ત્યારે પણ તેમને ચારથી પાંચ પબ્લિક ટોયલેટ ખૂબ જ ખરાબ દેખાયા હતા. તેમાં સફાઈ કરવામાં આવી નહોતી. તેમજ રખડતા ઢોર પણ જોવા મળ્યા હતા. આ બાબતે તેઓએ રજૂઆત કરી હતી. મ્યુનિસિપલ કમિશનરે વિકલી રીવ્યુ બેઠકમાં ગેરકાયદેસર બાંધકામો તોડવા મામલે પ્રશ્ન કર્યો હતો. ત્યારે એસ્ટેટ વિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે, પોલીસ બંદોબસ્ત મળતો નથી. તેના માટે બાંધકામો તોડવામાં આવતા નથી. જેથી કમિશનરે તેઓને સ્પષ્ટ કહ્યું હતું કે, જો પોલીસ બંદોબસ્ત ન મળતો હોય તો હું તમારી સાથે આવું પણ તમારે ગેરકાયદેસર બાંધકામોને તોડવાના જ છે. ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે પોલીસ બંદોબસ્તની અરજી મોકલાય છેઉલ્લેખનીય છે કે, શહેરભરમાં નાનામોટા રહેણાંક અને કોમર્શિયલ પ્રકારનાં ગેરકાયદે બાંધકામો બની જાય છે. પરંતુ ત્યારબાદ જેને તોડવાના હોય છે. તેને એસ્ટેટ-ટીડીઓ ખાતા દ્વારા નોટિસો તો આપી જ દે છે અને નજીકનાં પોલીસ સ્ટેશનમાં બાંધકામ તોડવા માટે બંદોબસ્ત આપવાની અરજી મોકલાવી દેતાં હોય છે. જોકે, ગેરકાયદેસર બાંધકામો તોડવામાં પોલીસ બંદોબસ્ત નહીં આપવા માટે પણ પોલીસ સ્ટેશનમાં મોટા વહીવટો કરી દેવામાં આવે છે. જેના કારણે પોલીસ બંદોબસ્ત મળતો નથી. સૂત્રો મુજબ ખાસ કરીને મધ્ય ઝોન વિસ્તારમાં આવતા જમાલપુર, કારંજ, શાહપુર, દરિયાપુર, કાલુપુર સહિતના પોલીસ સ્ટેશનમાં મોટી ગોઠવણો ચાલે છે. રજૂઆત પછી પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છેસંવેદનશીલ વિસ્તારો હોવાના કારણે ત્યાં એસ્ટેટ વિભાગ પોલીસ બંદોબસ્ત વધારે માંગતું હોય છે. જેના કારણે થઈ આવા પોલીસ બંદોબસ્ત ન આપવામાં પણ મોટી ગોઠવણ થતી હોય છે. સૂત્રો મુજબ ચોક્કસ અને સંવેદનશીલ વિસ્તારોમાં જ ગેરકાયદે બાંધકામ તોડવા માટે પોલીસ બંદોબસ્તની જરૂર પડતી હોય છે, બાકીનાં વિસ્તારોમાં ગેરકાયદેસર કરવા માટે એસઆરપીનો બંદોબસ્ત તો મળે જ છે. પરતુ એસ્ટેટ ખાતાને બાંધકામો તોડવાં હોતા નથી. એટલે બંદોબસ્તનાં નામે ગોઠવાણો પણ પાડી દેવામાં આવે છે. પશ્ચિમ વિસ્તારની અંદર સામાન્ય રીતે એક બે વખત રજૂઆત બાદ પોલીસ બંદોબસ્ત આપી દેવામાં આવે છે. પરંતુ પૂર્વ વિસ્તારમાં ખાસ કરીને બંદોબસ્ત આપવામાં આવતો નથી.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 12:54 am

સ્થાનિકોમાં ફાટી નીકળ્યો રોષ:ભાજપના સાંસદ નરહરિ અમિન દ્વારા બંધ કરાવેલા ડિવાઈડર કટ ખોલવા લોકોની માંગ, ટોળાએ હિલ્લોક હોટલ પાસેનો રોડ કરાવ્યો બંધ

અમદાવાદના એસપી રિંગ રોડ પર ઝુંડાલથી વૈષ્ણોદેવી તરફ જવાના રોડ ઉપર હોટલ હિલ્લોક નજીક ડિવાઈડર કટ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ કારણે ન્યુ ત્રાગડ, ચાંદખેડા સહિતના વિસ્તારોના વાહનચાલકોને હાલાકી પડી રહી હતી, ત્યારે આજે (5 ફેબ્રુઆરી)ના રોજ રાત્રે મોટી સંખ્યામાં સ્થાનિક લોકોના ટોળાએ એસપી રિંગ રોડ પર હોટલ હિલ્લોક પાસે રસ્તો રોકી દીધો હતો. આના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. મોટી સંખ્યામાં લોકોના ટોળા ભેગા થઈ રોડ બંધ કરી દેતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને લોકોને સમજાવીને ટ્રાફિક પૂર્વવત કરાવવાની કાર્યવાહી કરી હતી. લોકોને ન્યુ ત્રાગડ અને ચાંદખેડા આવવા માટે ત્રણથી પાંચ કિલોમીટર જેટલું ફરવું પડે છે. જેના કારણે લોકો હેરાન થતા હોવાથી અનેક રજૂઆત બાદ પણ કોઈ નિરાકરણ ન આવતા લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિક લોકો દ્વારા 'દાદાગીરી નહીં ચલેગી, નહીં ચલેગી' ના નારા લગાવીને રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો. સ્થાનિક લોકો રોડ બંધ થવાના કારણે હેરાન-પરેશાન થઈ રહ્યા હોવાથી, તેમણે રોડ ઉપર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા 15 દિવસથી આ ડિવાઈડર બંધ થઈ ગયું હોવાના કારણે દરરોજ લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે અને ખૂબ મોટો ફેરો ખાઈને પોતાના ઘર તરફ જવું પડે છે. આથી સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આ ડિવાઈડર કટ ખોલી દેવામાં આવે, જેથી સ્થાનિક લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળે.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 12:06 am

યુવક પર ત્રણ શખસો તલવાર-છરા લઈ તૂટી પડ્યા, CCTV:એક મિનિટમાં 34 ઘા મારી અધૂમૂઓ કરી નાખ્યો, અમદાવાદમાં પ્રેમસંબંધમાં જીવલેણ હુમલો

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં પ્રેમસંબંધમાં એક યુવક પર ત્રણ શખસોએ તલવાર અને છરા વડે હુમલો કર્યાના સીસીટીવી સામે આવ્યા છે. બાપુનગરમાં 31મી તારીખે જ્યારે યુવક પોતાના મોટરસાયકલ બેઠો હતો ત્યારે ધસી આવેલા ત્રણ શખસો તલવાર અને છરા લઈ તૂટી પડ્યા હતા. યુવકને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડાયો હતો. પોલીસે ત્રણેય હુમલાખોર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભોગ બનનાર યુવકનો સાળો આરોપીને પત્નીને ભગાડી જતા હુમલો કરાયોમળતી માહિતી મજુબ બાપુનગરમાં રહેતા યાસીન મુસ્તફાપઠાણ ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલો છે. તેનો સાળો મોહમ્મદ ઈસ્લામ એક મહિના પહેલા મોહમ્મદ અંસારની પત્નીને ભગાડી ગયો હતો. જેથી મોહમ્મદ અંસાર દ્વારા યાસીન અને તેના સસરા મુન્નાભાઈને કહ્યું હતું કે, તમે બંનેને શોધી આપો નહીં તો તમારા હાથ પગ ભાંગી નાખીશ.યાસીન અને તેના પરિવારે બંનેને શોધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, મળી આવ્યા નહતા. પરિણીતાના પતિ સહિત ત્રણ શખસો તલવાર અને છરા લઈ તૂટી પડ્યા31મી જાન્યુઆરીએ રાત્રિના સમયે યાસીન અને તેના મિત્રો જ્યારે અમદાવાદના અજીતમીલ ચાર રસ્તા પાસે ધંધાના કામે ઉભા હતા ત્યારે મોહમ્મદ અંસાર, ગડ્ડુ ઉર્ફે સાંગા અને અન્ય એક શખસ તલવાર અને છરા સાથે ધસી આવ્યા હતા. યાસીન અને તેના મિત્રો કંઈ સમજે તે પહેલા જ ત્રણેય લોકો તૂટી પડ્યા હતા. 1 મિનિટમાં તલવાર અને છરાના 34 ઘા માર્યાબનાવના જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં મોટરસાયકલ પર યાસીન જ્યારે બેઠો હતો ત્યારે ધસી આવેલા ત્રણેય લોકોએ યાસીનને નીચે પાડી દીધો હતો. ત્યારબાદ ત્રણેય લોકો છરા અને તલવારથી ઘા મારવા લાગ્યા હતા. અન્ય લોકોએ યાસીનને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, ત્રણેય લોકો રોકાયા ન હતા અને એક મિનિટમાં જ 34 જેટલા ઘા મારી ફરાર થઈ ગયા હતા. યાસીનને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડાયોહુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યાસીનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. યાસીને ત્રણેય શખસો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એસીપી આર.ડી ઓઝાએ જણાવ્યું હતું કે ફરિયાદીના સાળા સાથે આરોપીની પત્નીને પ્રેમસંબંધ હતો અને બંને ભાગી ગયા હતા. બંને પરત આવ્યા ત્યારે આરોપીની પત્નીએ આરોપી સાથે છૂટાછેડા લઈને ફરિયાદીના સાળા સાથે લગ્ન કરી લીધા હતા.જેની અદાવત રાખીને આરોપી અવારનવાર ફરિયાદીને ધમકાવતો હતો.31 જાન્યુઆરીએ સાંજના સમયે આરોપીએ તેના બે સાથીઓ સાથે મળીને ફરિયાદી ઉપર તલવાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ સમાચાર પણ વાંચોઃપતંગની દોરી ખેંચવાની અદાવતમાં યુવકને ચપ્પુના ઘા ઝીંક્યા સુરતના ઉધના વિસ્તારમાં આવેલી હેડગેવાર વસાહતમાં પતંગ ચગાવવા જેવી નજીવી બાબતે થયેલી તકરારે હિંસક વળાંક લીધો છે. પતંગની દોરી ખેંચવા બાબતે થયેલા વિવાદમાં ચાર શખસોએ ભેગા મળી એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં ચાર શખ્સો નિર્દયતાપૂર્વક માર મારી રહ્યા હોવાનું સ્પષ્ટ દેખાય છે. પોલીસે આ ફૂટેજના આધારે તપાસ શરૂ કરી બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 12:05 am

AMCનો 25 કરોડનો ખર્ચ બચ્યો:એસ.જી હાઇવેને ડસ્ટ ફ્રી અને આઇકોનિક બનાવવા યુએન મહેતા ફાઉન્ડેશન ખર્ચ કરશે, 30 કિમી તબક્કાવાર કામગીરી થશે

અમદાવાદના એસ.જી હાઈવે રોડને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવીનીકરણ કરવામાં આવી રહ્યો છે. એસ જી હાઈવેની આજુબાજુના સર્વિસ રોડ પર ટ્રી પ્લાન્ટેશન અને વોક વે સહિતની સુવિધા સાથે બ્યુટિફિકેશન કરવાનું છે. જેમાં પ્રથમ તબક્કામાં ઈસ્કોનથી પકવાન સુધીનો રોડ ડેવલોપ કરવામાં આવ્યો છે. આ રોડની ડિઝાઇનથી લઈ બ્યુટીફિકેશન સહિતની કામગીરી યુ.એન મહેતા ફાઉન્ડેશનને સોંપવાનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટી દ્વારા લેવામાં આવ્યો છે. એસજી હાઇવેના આઇકોનિક રોડના ડિઝાઇનથી લઇ તમામ કન્સલ્ટિંગ વગેરે યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા ખર્ચ કરવામાં આવશે જેનાથી મ્યુનિસિપલ કોર્પોરેશનને 20થી 25 કરોડ રૂપિયાની બચત થશે. સનાથલથી ગાંધીનગર સુધીનો એસ.જી હાઈવે ડેવલોપ કરાશેસ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, એસ.જી હાઈવેને સનાથલ સર્કલથી શરૂ કરી ગાંધીનગરના જી-7 સર્કલ સુધીનો આખો રોડ ડેવલોપ કરવા માટેનો લગભગ 30 કિમીનો રોડ છે, જેને એરપોર્ટથી ઈન્દિરાબ્રિજ જે રીતે આઈકોનિક રોડ બનાવવામાં આવ્યો એવી જ રીતે સનાથલથી ગાંધીનગર સુધીનો એસ.જી હાઈવે નેશનલ હાઈવે ઓથોરિટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઔડા, ગુડા, ગાંધીનગર મહાનગરપાલિકાએ માટે આજના તાકીદના કામની અંદર યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા ડેવલોપ કરવામાં આવશે અને કન્સલટન્સીનો તમામ ખર્ચ યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે. 30 કિમીનો રોડ એસ.જી હાઈવે બ્યુટિફિકેશન સાથે તૈયાર થશેએસ જી હાઇવે પર આઇકોનિક રોડમાં લેન્ડસ્કેપિંગ, ગજેબો, ઈસ્કોનથી પકવાન સુધીનો રોડ ડેવલોપ કરવામાં આવ્યો એવો નવતર 30 કિમીનો રોડ એસ.જી હાઈવે બ્યુટિફિકેશન સાથે તૈયાર થશે. કન્સલટન્ટ, લેન્ડ સ્કેપ કન્સલ્ટન્ટ, આર્ટ કન્સલ્ટન્ટ, એડવટાઇઝમેન્ટ કન્સલ્ટન્ટ, લાઇટીંગ કન્સલ્ટન્ટ એમ.ઈ.પી. કન્સલટન્ટ, સર્વે એજન્સીઓ વિગેરેની નિમણુંક, પ્લાનીંગ અને ડિઝાઇનીંગ માટે યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા નિમણુંક કરવામાં આવનાર તમામ કન્સલ્ટન્ટની સમગ્ર કન્સલ્ટન્સી ફીનું ચુકવણુ સંપુર્ણ રીતે યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે. ડિઝાઈન એપ્રુવલ, મોડિફિકેશન અને ડિઝાઈનના ઇમ્પ્લિમેન્ટેશનની કામગીરી GUIDCL અને યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા એપોઇન્ટ કરેલ કન્સલટન્ટો સાથે સંકલન કરવામાં આવશે. ચેકિંગ કરાવા થર્ડ પાર્ટી ઓડિટ કન્સલટન્ટની નિમણૂંક કરાશેટ્રાફિકને લગતી સમગ્ર કામગીરી જેવી કે ટ્રાફિક સર્વે અને એનાલિસિસ, પેવમેન્ટ ડીઝાઈન, રોડ જીઓમેટ્રીક ડિઝાઈન, પેડેસ્ટ્રીયન ફૂટઓવર બ્રિજની ફિઝિબિલિટી, રોડ સેફ્ટી ઓડિટ તથા બ્લેક સ્પોટ સર્વે, ટ્રાકિક સીગ્નલ અને ટ્રાકિક સાઇનેઝીસ વગેરે ટ્રાકિકને સંલગ્ન કામગીરી કરવા માટે SVNIT સંસ્થાને ગુજરાત અર્બન ઇન્ફાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કંપની લિમીડેટ (GUIDCL) કંપની અંતર્ગત રાષ્ટ્રીય ધોરી માર્ગમાં ટ્રાકિક કન્સલટન્ટ તરીકે નિમણૂંક કરવાની થાય છે. વધુમાં સદરહું રોડ ઉપર જુદા જુદા સ્ટ્રકચર કે જે સ્ટ્રકચરલ કન્સલટન્ટ દ્વારા કરવામાં આવે તેનું થર્ડ પાર્ટી પ્રુફ ચેકિંગ કરાવા માટે થર્ડ પાર્ટી ઓડિટ કન્સલટન્ટની પણ નિમણૂંક કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 12:05 am

ફાર્મ હાઉસમાં પીવાનું ને પેટ પોલીસ સ્ટેશનમાં ભરવાનું:હુક્કા-દારુની મોજ માણી પછી સાણંદ પોલીસ સ્ટેશનમાં ખાખીએ ખવડાવ્યું, ડૉક્ટર-બિલ્ડર-વેપારીઓને VIP ટ્રીટમેન્ટ આપી

અમદાવાદમાં સાણંદ પોલીસે 4 ફેબ્રુઆરીની મોડી રાત્રે ગોરસ સીમ નજીક આવેલા 'નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમ'માં ચાલી રહેલી હાઈપ્રોફાઈલ દારૂ-હુક્કા મહેફિલ પર રેડ કરીને 81 જેટલા યુવક-યુવતીઓની અટકાયત કરી હતી. આ મહેફિલ એક દંપતિની 25મી એનિવર્સરીના નામે આયોજિત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોને આમંત્રિત કરાયા હતા. જો કે હવે આ કેસમાં પોલીસના બે ચહેરા સામે આવ્યા છે. પોલીસની નાક નીચે પાર્ટી યોજાઈ ને પાછું પોલીસ સ્ટેશનમાં તેની સરાભરા પણ કરવામાં આવી. આમ પીવાનું ફાર્મ હાઉસમાં અને પેટ પોલીસ સ્ટેશનમાં ભરવામાં આવ્યા હોવાનો ઘાટ સર્જાયો છે. રાત્રે પોલીસે દારૂની મહેફિલમાં રંગમાં ભંગ પાડીને પહેલા મેહફીલ બંધ કરાવી તમામને પોલીસ સ્ટેશન લઈ ગઈ અને પોલીસ સ્ટેશનમાં ગુનો નોધી તમામની ઇજ્જતના કાંકરા કરી નાંખ્યા બાદ મોડી રાતે આરોપીઓ માટે પોલીસે જ નાસ્તાની વ્યવસ્થા કરી હતી. પીનારાઓ માટે પોલીસ સ્ટેશન પિકનિક સ્પોટ બન્યુંસાણંદ પોલીસ સ્ટેશનમાં જ દારૂની મહેફિલના આરોપીઓ માટે એક વ્યક્તિ જાણે ચાલતી ફરતી દુકાન હોય તેમ હાથમાં વેફરના પડીકા લઈને આવ્યો હતો. જોકે આ વ્યક્તિ પોલીસના કહેવાથી જ વેફર લઈને આવ્યો હતો.દારૂના નશામાં લોકોને પોલીસે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને સરાભરા કરવા વેફર અને ચા પીવડાવી હતી. આ હાઈ પ્રોફાઇલ મહેફિલ હોવાથી પોલીસે આ પ્રકારની વ્યવસ્થા કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આમ પોલીસ સ્ટેશન પીનારાઓ માટે પિકનિક સ્પોટ બની ગયું હતું. સબંધીઓ આવ્યા બાદમાં પોલીસે જ વેફરની વ્યવસ્થા કરી: PIઆ અંગે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં સાણંદ પીઆઇ બી.ટી.ગોહિલે જણાવ્યું હતું કે, આરોપીઓ હોય તો તેમને ભૂખ લાગે જ, એટલે એમના સબંધીઓ આવ્યા બાદમાં પોલીસે જ વેફરની વ્યવસ્થા કરી હતી. આ કંઈ ખોટું નથી. જોકે સામાન્ય આરોપીઓને પણ પોલીસ આ પ્રકારે જ નાસ્તો કરાવતી હશે કે કેમ તેને લઈને સવાલ છે કારણ કે સામાન્ય આરોપી તો લોકઅપમાં હોય છે અને તેને અડધી રાતે ભૂખ લાગે તો હાજર સ્ટાફ અડધી રાતે વેફર આપતો હોવો જોઈએ. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી સાણંદ આસપાસમાં હાઇપ્રોફાઇલ દારૂ-હુક્કા પાર્ટીઓ વધી રહી છે. વિકેન્ડ વિલા અને રિસોર્ટમાં ચાલતી આ પાર્ટીઓમાં વિદેશી વિદ્યાર્થીઓ, હાઇપ્રોફાઇલ લોકો ઝડપાઈ ચૂક્યા છે. ત્યારે આ બધા વચ્ચે મહત્વપૂર્ણ સવાલ એ છે કે નશાબંધી વચ્ચે આટલી મોટી માત્રામાં દારૂ ક્યાંથી આવે છે? તેના સપ્લાયર અને મોટા માથાઓે હજુ સુધી કેમ પકડાયા નથી. આદર્શ અગ્રવાલની 25મી એનિવર્સરીની ઉજવણી માટે પાર્ટીનું આયોજનમુંબઈના અમિત ગોપીલાલ પચેરીવાલ (ઉ.વ.49 રહે.જયંત મહેલ, ડી-રોડ, મરીન ડ્રાઇવ, વાનખેડે સ્ટેડીયમની સામે, મુંબઇવાળા) એ પોતાના સાઢુ આદર્શ અગ્રવાલની 25મી એનિવર્સરીની ઉજવણી કરવા પાર્ટીનુ આયોજન કર્યું હતું. આ હાઇપ્રોફાઇલ પાર્ટીમાં તમામ પ્રકારનું આયોજન કરાયું હતું. વેલ્કમ ડ્રિન્ક્સથી લઇને દારૂ, હુક્કા અને જમવા સહિતની વ્યવસ્થા કરાઈ હતી. આ પણ વાંચો: સાણંદના ગ્લેડ વન રિસોર્ટમાં બિલ્ડર પ્રતીક સાંઘીની બર્થ ડે પાર્ટીમાં રેડ 11 ટેબલ પર કેક, હુક્કા અને દારૂ પીરસાયોવિકેન્ડ હોમમાં ફૂડ કાઉન્ટર ગોઠવાયા હતા અને 11 ટેબલ પર કેક, હુક્કા અને દારૂ પીરસવામાં આવ્યો હતો. પોલીસે બાતમીના આધારે રેડ કરતાં જ મહેફિલમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે 81 યુવક-યુવતીઓની અટકાયત કરીને તેમને સાણંદની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લઈ ગઈ હતી. આ પણ વાંચો: કલબ O7ના ફોરમ હોલના પાર્કિંગમાં દારૂની મહેફિલ અનેક મોટી હસ્તીઓ અને માલેતુજાર પરિવારના યુવક-યુવતીઓ હાજર પોલીસે ઝડપેલા પૈકી મોટા ભાગના લોકો 35થી 40 વર્ષથી વધુ વયના છે. પોલીસે જણાવ્યું કે, આ મહેફિલમાં અનેક મોટી હસ્તીઓ અને માલેતુજાર પરિવારના યુવક-યુવતીઓ હાજર હતા. આ પણ વાંચો: અમદાવાદના ફાર્મમાં હાઇપ્રોફાઇલ રેવ પાર્ટીમાં રેડ, 13 વિદેશી નાગરિક સહિત 20ની ધરપકડ 20થી વધારે લક્ઝુરિયસ ગાડીઓ જપ્તસાણંદની મહેફિલમાં 20થી વધારે લક્ઝુરિયસ ગાડીઓ પોલીસે કબજે લીધી છે. લગ્નજીવનની 25મી વર્ષગાંઠમાં પાર્ટીમાં ઉજવણીમાં જેટલા પણ લોકો ઝડપાયા છે એમાં મોટાભાગે અમદાવાદના બિલ્ડર, વેપારીઓ અને ડોક્ટર હોવાનું સામે આવ્યું છે. આ પણ વાંચો - બિલ્ડર પ્રતીક સાંઘીની બર્થ ડે પાર્ટીમાં રેડ:સાણંદના ગ્લેડ વન રિસોર્ટમાં 13 યુવક-26 યુવતીએ દારૂ પીધો હતો અમદાવાદ જિલ્લાના સાણંદમાં આવેલા ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં ગઈકાલે(20 જુલાઈ) મોડીરાત્રે હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટી ચાલી રહી હતી, જેના પર સાણંદ પોલીસે રેડ કરી હતી. રિસોર્ટમાં રેડ દરમિયાન પોલીસે 100 લોકોને તપાસ્યા હતા, જેમાંથી 13 યુવક અને 26 યુવતી મળી કુલ 39 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયાં હતાં. આ પણ વાંચો - અમદાવાદ પોલીસનો ‘જાદુ’, રેડમાં 21 આરોપી, ટેસ્ટમાં 5 ગાયબ અમદાવાદના પંચવટી પાસે આવેલા એક એપાર્ટમેન્ટના ધાબે ચાલી રહેલી હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી પર ગુજરાત યુનિવર્સિટી પોલીસે રેડ કરી હતી. આ રેડ દરમિયાન ચાર યુવતી સહિત 16 નબીરા મળ્યાં હતાં, જ્યારે પાંચ યુવકો ત્યાંથી ભાગી ગયા હતા. જોકે બે કલાકમાં પાંચેય પોલીસ સમક્ષ હાજર થતાં તમામને મહેફિલના સ્થળે જ લાવવામાં આવ્યા હતા. આ પણ વાંચો - જ્યાં રેવ પાર્ટી ચાલતી એ ફાર્મહાઉસ પર પહોંચ્યું દિવ્ય ભાસ્કર અમદાવાદના બોપલ પોલીસે મોડીરાતે ઝેફાયર ફાર્મ હાઉસ પર ચાલી રહેલી દારૂ પાર્ટી પર રેડ કરી હતી. રેડ દરમિયાન 2 ભારતીય સહિત 15 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા, જેમાં કુલ 20 લોકોની અટકાયત કરવામાં આવી હતી. શીલજ પાસે ઝેફાયર ફાર્મમાં ચાલતી પાર્ટીમાંથી પોલીસે 48 દારૂની બોટલ અને 9 હુક્કા જપ્ત કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 12:05 am

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હોબાળો:એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ 10 કલાક લેટ, મુસાફરોનો રોષ ફાટી નીકળ્યો, કહ્યું- ઢાંકળીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ

હીરાનગરી સુરતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભારે હોબાળાના દૃશ્યો જોવા મળ્યા હતા. એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરતથી દિલ્હી જતી ફ્લાઇટ ટેકનિકલ ખામીના કારણે અટવાઈ પડતા મુસાફરોએ એરપોર્ટ પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ફ્લાઇટ નિર્ધારિત સમય કરતા 10 કલાક જેટલી મોડી થતા અને એરલાઇન્સના સ્ટાફ તરફથી સંતોષકારક જવાબ ન મળતા મુસાફરોનો પિત્તો ગયો હતો. શું છે સમગ્ર મામલો?સુરતથી દિલ્હી જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા તેને ગ્રાઉન્ડ કરવામાં આવી હતી. કલાકો સુધી રાહ જોયા બાદ પણ જ્યારે ઉડાન અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં ન આવી, ત્યારે મુસાફરોનો સંયમ ખૂટ્યો હતો. મુસાફરો અને સ્ટાફ વચ્ચે તીખી તકરારએરપોર્ટ પર મુસાફરો અને એરલાઇન્સના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. મુસાફરોએ સ્ટાફનો ઉધડો લેતા સવાલો કર્યા હતા કે, જો ફ્લાઇટ રિ-શેડ્યુલ થઈ છે, તો બીજી ફ્લાઇટની વ્યવસ્થા કેમ નથી? તમારી પાસે આખા ભારતમાં શું એક જ ફ્લાઇટ છે? અમને રિફંડ કે હોટલની સુવિધા નથી જોઈતી, અમને અત્યારે જ બીજી ફ્લાઇટની ટિકિટ આપો. એક રોષે ભરાયેલા મુસાફરે તો ત્યાં સુધી કહ્યું કે, આટલી મોટી એરલાઇન્સ હોવા છતાં અને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નવી સેવાઓ શરૂ કર્યાના દાવાઓ વચ્ચે આવી બેદરકારી શરમજનક છે. દિલ્હીથી ખાલી ફ્લાઇટ કેમ નથી બોલાવતા? ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તમારું અને એમાંય પાછી નવી ફ્લાઇટ ચાલુ કરી છે! શરમ આવવી જોઈએ શરમ, એર ઇન્ડિયા એક્સપ્રેસ! ઢાંકળી પાણીમાં ડૂબી મરવું જોઈએ. મુસાફરોની માગ અને એરલાઇન્સની સ્થિતિમુસાફરોનો આક્ષેપ છે કે એરલાઇન્સ પાસે કોઈ વૈકલ્પિક પ્લાન નથી. ઘણા મુસાફરોને દિલ્હી પહોંચીને આગળની કનેક્ટિંગ ફ્લાઇટ પકડવાની હતી અથવા મહત્વની મીટિંગ્સ હતી, જે આ વિલંબને કારણે રદ કરવી પડી છે.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 12:05 am