પાલનપુર હત્યા કેસમાં ન્યાયિક તપાસની માંગ:પાટણ ચૌધરી સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી
પાટણ ચૌધરી સમાજે પાલનપુર હત્યા કેસમાં ન્યાયિક તપાસની માંગ સાથે પાટણ કલેક્ટર તુષાર ભટ્ટને આવેદનપત્ર સુપરત કર્યું છે. આ આવેદનપત્રમાં નિષ્પક્ષ અને વૈજ્ઞાનિક તપાસ, કડક કાયદાકીય કાર્યવાહી તથા કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની માંગ કરવામાં આવી છે. આ ઘટના 20 ડિસેમ્બર, 2025ના રોજ પાલનપુર-અમદાવાદ હાઈવે પર બની હતી. આ એક પૂર્વયોજિત અને ગંભીર હત્યાનો બનાવ હોવાનું જણાવાયું છે, જેણે જાહેર વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થા અંગે ચિંતા ઉભી કરી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામના રહેવાસી ભરતભાઈ ગણેશભાઈ ચૌધરી પર તલવાર, ધોકા અને લોખંડની પાઇપ જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. તેમના મિત્ર નીતિન ચૌધરીને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. પોલીસ તપાસ મુજબ, આ હુમલો જાનથી મારી નાખવાના સ્પષ્ટ ઇરાદાથી અને પૂર્વયોજિત રીતે કરવામાં આવ્યો હતો. આ સંદર્ભે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ભાર્ગવ ઉર્ફે લાલો નિમેષભાઈ માળી સહિતના આરોપીઓ સામે FIR નોંધવામાં આવી છે. મુખ્ય આરોપી ભાર્ગવ ઉર્ફે લાલો માળી સામે અગાઉ પણ કુલ 7 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. પાટણ ચૌધરી સમાજના આગેવાનો હરેશભાઈ ચૌધરી, નવીનભાઈ ચૌધરી, રમેશભાઈ ચૌધરી અને પ્રવીણભાઈ ચૌધરી સહિતના સભ્યોએ કલેક્ટર તુષાર ભટ્ટ સમક્ષ આ રજૂઆત કરી હતી.
પંચમહાલ જિલ્લાના ગોધરા-અમદાવાદ હાઈવે પર આવેલા ભામૈયા પશ્ચિમ ગામના તળાવમાંથી વહેલી સવારે આશરે ૪૦ શંકાસ્પદ માંસ ભરેલા થેલા મળી આવ્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. ગોધરા બી-ડિવિઝન પોલીસ અને નગરપાલિકાની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે, અજાણ્યા શખ્સોએ રાત્રિના સમયે આ માંસનો જથ્થો તળાવમાં ફેંકી દીધો હતો. આ તળાવનું પાણી ગામના દુધાળા પશુઓ પીવે છે. ઉપરાંત, તળાવની નજીક જ ગામને પીવાનું પાણી પૂરું પાડતી વોટર વર્ક્સની ટાંકી આવેલી છે. આથી, ગ્રામજનોમાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. ગ્રામજનોએ આ ઘટનાને માત્ર પર્યાવરણીય પ્રદૂષણનો મુદ્દો નહીં, પરંતુ ગોધરા અને જિલ્લાની કોમી એકતા અને શાંતિ ભંગ કરવાના ષડયંત્ર તરીકે ગણાવી છે. તેમણે અગાઉ ગામના મંદિર પાસે પણ આવા જ અણછાજતા કૃત્ય થયા હોવાનું જણાવ્યું હતું. માંસનો જથ્થો મળ્યાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા. પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક પહોંચી ગયો હતો. નગરપાલિકાના ફાયર વિભાગની મદદથી તળાવમાંથી ફેંકાયેલા થેલાઓને બહાર કાઢી વિસ્તારને જંતુમુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી આ કૃત્ય કરનારાઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાત સરકારે નાના શહેરોના સર્વાંગી વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં 5 શહેરોને ‘સેટેલાઇટ ટાઉન’ તરીકે વિકસિત કરવાનો નિર્ણય લેવાયો છે. આ માટે હવે માસ્ટર પ્લાન તૈયાર કરવા અર્બન પ્લાનર્સને આમંત્રણ આપવામાં આવ્યું છે અને ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાઈ છે. આ 5 શહેર 2030 સુધીમાં ‘સેટેલાઇટ ટાઉન’ બનશેરાજ્ય સરકારે અમદાવાદ નજીક સાણંદ, ગાંધીનગર નજીક કલોલ, વડોદરા નજીક સાવલી, સુરત નજીક બારડોલી અને રાજકોટ નજીક હીરાસરને સેટેલાઇટ ટાઉન તરીકે વિકસિત કરવાનો રોડમેપ તૈયાર કર્યો છે. વર્ષ 2030 સુધીમાં આ શહેરોમાં મહાનગર સમકક્ષ સુવિધાઓ વિકસાવીને તેમને આર્થિક પ્રવૃત્તિના નવા કેન્દ્રો બનાવવાનો ઉદ્દેશ છે, જેથી મોટા શહેરો પર વધતું ભારણ ઘટાડી શકાય. એક વર્ષમાં માસ્ટર પ્લાન તૈયાર થશેશહેરી વિકાસ વર્ષ-2025 અંતર્ગત રાજ્ય સરકારનું લક્ષ્ય છે કે નાના અને મધ્યમ શહેરોમાં રોજગારી, રહેઠાણ અને જીવનની ગુણવત્તા એકસાથે સુધરે. આ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અનુભવ ધરાવતા અર્બન પ્લાનર્સ દ્વારા એક વર્ષમાં માસ્ટર પ્લાન તૈયાર કરાશે. આગામી બે મહિનામાં કન્સલટન્ટની નિમણૂક થશે. સેટેલાઇટ ટાઉન એટલે શું?મહાનગરથી એક કલાકની અંદર પહોંચી શકાય એવા શહેરોને ઓળખીને તેમને આર્થિક રીતે સશક્ત બનાવવામાં આવે છે. અહીં ઉદ્યોગ, રોજગાર, શિક્ષણ અને નાગરિક સુવિધાઓ વિકસાવી મોટા શહેરો પરનું દબાણ ઘટાડવાનો હેતુ હોય છે. સેટેલાઇટ ટાઉનમાં વિશ્વસ્તરીય સુવિધાઓનો પ્લાનસેટેલાઇટ ટાઉનમાં ઇલેક્ટ્રિક બસ સાથેનું જાહેર પરિવહન, રિંગ રોડ, પાણી પુરવઠો, વેસ્ટ મેનેજમેન્ટ, અર્બન ફોરેસ્ટ પાર્ક, તળાવો, મોડેલ ફાયર સ્ટેશન અને ‘મિક્સ યુઝ’ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવશે. કામગીરીને ઝડપ આપવા મંજૂરી અને દેખરેખ સમિતિ પણ રચાઈ છે. 'નાના શહેરોમાં વિકાસની અપાર સંભાવનાઓ છે'વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું છે કે, અર્બન એરિયા દેશનું ગ્રોથ સેન્ટર છે. વિકસિત ભારત માટે શહેરોને આર્થિક ગતિવિધિના કેન્દ્રો બનાવવાના છે. ટિયર-2 અને ટિયર-3 શહેરોમાંથી ઊભા થતા સ્ટાર્ટઅપ્સ અને યુવા શક્તિ પર વિશ્વાસ વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, નાના શહેરોમાં વિકાસની અપાર સંભાવનાઓ છે. ગુજરાત સરકારનો આ નિર્ણય માત્ર શહેરી વિકાસ નહીં, પરંતુ રાજ્યના ભવિષ્યની આર્થિક દિશા નક્કી કરનાર મહત્વપૂર્ણ પગલું ગણાઈ રહ્યો છે.
વાયબ્રન્ટ સમિટને લઈને રાજ્યભરમાં તૈયારીઓ તેજ બની છે, તે વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી પ્રવાસે છે. આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાનાર કાર્યક્રમમાં હાજર રહી શકશે નહીં તેવી શકયતા. મુખ્યમંત્રીના દિલ્હી પ્રવાસને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે અને તેમના પરત ફરવામાં મોડું થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. દિલ્હીમાં આ ચર્ચા થઈ શકે છેરાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પ્રવાસ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વ સાથે મહત્વની ચર્ચાઓ કરી શકે છે. રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી, મહાનગરપાલિકા સહિત વિવિધ નિગમોમાં ચેરમેન અને હોદ્દેદારોની નિમણૂક, તેમજ સંગઠનાત્મક સંતુલન જેવા મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં હોવાનું મનાઈ રહ્યું છે. આ કારણે મુખ્યમંત્રીની દિલ્હી મુલાકાતને માત્ર ઔપચારિક નહીં પરંતુ નિર્ણાયક ગણવામાં આવી રહી છે. મહાત્મા મંદિરના કાર્યક્રમમાં CMના બદલે નાયબ મુખ્યમંત્રી હાજર રહેશેઆ વચ્ચે વાયબ્રન્ટ સમિટ પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 અને 12 જાન્યુઆરીએ રાજકોટ આવનાર હોવાથી રાજ્ય સરકાર અને સંગઠન બંને સ્તરે પ્રવૃત્તિ તેજ બની છે. સૌરાષ્ટ્રને ઉદ્યોગ અને રોકાણના નકશામાં વધુ મજબૂત સ્થાન આપવા માટેની વ્યૂહરચનામાં મુખ્યમંત્રીની દિલ્હી મુલાકાત મહત્વપૂર્ણ કડી તરીકે જોવામાં આવી રહી છે. મુખ્યમંત્રીની ગેરહાજરીને પગલે મહાત્મા મંદિર ખાતેના આજના કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અધિકારીઓ હાજર રહેશે.
મહેસાણા જિલ્લાનું વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હાલમાં ગુવારની આવકનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે. અહીં નવા અને જૂના ગુવારની મળીને દૈનિક 1000બોરીથી વધુની આવક નોંધાઈ રહી છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં ગુવારના સૌથી વધુ ભાવ વિસનગર માર્કેટયાર્ડમાં મળી રહ્યા હોવાથી અન્ય વિસ્તારોમાંથી પણ ખેડૂતો અહીં પોતાની જણસ વેચવા ઉમટી પડ્યા છે. યાર્ડમાં પ્રતિ મણ 1000થી 1150 રૂપિયા સુધીકઠોળ ખેત પેદાશમાં મહત્વનું સ્થાન ધરાવતા ગુવારના ભાવ હાલમાં વિસનગર યાર્ડમાં પ્રતિ મણ 1000થી 1150 રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે. અન્ય બજારોની સરખામણીએ અહીં ખેડૂતોને પ્રતિ મણ 150થી 200 રૂપિયાનો સીધો ફાયદો થઈ રહ્યો છે. આ આકર્ષક ભાવને કારણે જ માર્કેટયાર્ડમાં ગુવારની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. '31 ડિસેમ્બર 2025 સુધીમાં જ આશરે 52,000 બોરીની આવક થઈ ચૂકી'માર્કેટયાર્ડના ચેરમેન જયતીભાઈ પટેલે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતમાં વિસનગર APMC ગુવારના વેપાર માટે અગ્રેસર છે. ગત નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન અહીં કુલ 1,16,774 બોરી ગુવારની આવક થઈ હતી. જ્યારે ચાલુ વર્ષે 31 ડિસેમ્બર 2025 સુધીમાં જ આશરે 52,000 બોરીની આવક થઈ ચૂકી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ગત વર્ષે સરેરાશ 1000 રૂપિયાની આસપાસ રહેતા ભાવની સરખામણીએ આ વર્ષે ખેડૂતોને વધુ સારા ભાવ મળી રહ્યા છે
રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં તા. 11 અને 12 જાન્યુઆરીના સૌરાષ્ટ્ર - કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે ત્યારે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 8 જાન્યુઆરીથી ટ્રાન્સપોર્ટેશન માટે રેપીડો સર્વિસ શરૂ કરવામાં આવશે આ ઉપરાંત આ સમિટમાં આવનારા હવાઈ મુસાફરોને રાહત દરે ચા અને કોફી સહિતનો નાસ્તો મળી રહે તે માટે સ્નેક બાર શરૂ કરવામાં આવશે. જોકે આ સેવા વાઇબ્રન્ટ સમિટ પૂરતી જ કાર્યરત રહેશે. આ ઉપરાંત ગુજરાતની ઓળખ સમાન પટોળા દેશ - વિદેશના મુસાફરો નિહાળી શકશે. રાજકોટના એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહે દિવ્યભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે, ગુજરાતની રીજનલ વાઇબ્રન્ટ સમિટ રાજકોટમાં યોજાવાની છે ત્યારે રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુસાફરો અને મુલાકાતીઓના ધસારાને ધ્યાનમાં રાખીને 8 જાન્યુઆરી થી રેપિડો કેબ સેવા શરૂ કરવામાં આવશે. જેમાં મોબાઇલ એપ્લિકેશન દ્વારા બુકિંગની સુવિધા આપવામાં આવશે અને મુસાફરોને મદદ કરવા માટે ટર્મિનલ બિલ્ડિંગની સામે પાર્કિંગ વિસ્તારમાં એક કાઉન્ટર સ્થાપિત કરવામાં આવનાર છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના પાર્કિંગ વિસ્તારમાં સ્થિત ટર્મિનલ બિલ્ડિંગની સામે સ્નેક બાર પણ કાર્યરત કરવામાં આવશે. જ્યાં રાજકોટ વાઇબ્રન્ટ સમિટમાં આવતા દેશ - વિદેશના મુલાકાતીઓ અને હવાઈ મુસાફરોને વ્યાજબી ભાવે ચા, કોફી અને અલગ અલગ પ્રકારનું ફૂડ મળી રહેશે. આ સાથે જ ટર્મિનલ બિલ્ડિંગના પ્રસ્થાન વિસ્તારમાં AVSAR સુવિધા પણ કાર્યરત થશે. AVSAR (પ્રદેશના કુશળ કારીગરો માટે સ્થળ તરીકે એરપોર્ટ) એ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) ની એક પહેલ છે. જે સ્વ-સહાય જૂથો (SHGs) અને સ્થાનિક કારીગરોને તેમના અનન્ય પ્રાદેશિક ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. જેનાથી સ્થાનિક સંસ્કૃતિને પ્રોત્સાહન મળે છે અને મહિલાઓને સશક્તિકરણ મળે છે. જે અંતર્ગત અહીં પટોળા રાખવામાં આવશે.
SOGએ વિશ્વાસઘાત-ઠગાઈના આરોપીને ઝડપ્યો:વેજલપુર પોલીસ સ્ટેશનના ગુનામાં ફરાર આરોપી કાલોલથી પકડાયો
પંચમહાલ SOG પોલીસે વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાત અને ઠગાઈના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી વિનોદ દલપતભાઈ પરમારને કાલોલના કાશીયાઘોડા પાસેથી પકડવામાં આવ્યો છે. આ કાર્યવાહી પંચમહાલ જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચાલી રહેલી ઝુંબેશના ભાગરૂપે કરવામાં આવી હતી, જેમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને સફળતા મળી છે. એસ.ઓ.જી. પી.એસ.આઈ. બી.કે. ગોહિલ અને તેમની ટીમ આ ગુનામાં કાર્યરત હતી. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિરેનકુમાર કિરણસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે વેજલપુર પોલીસ સ્ટેશનના ગુનાનો આરોપી કાલોલ પંથકમાં છે. આ બાતમીના આધારે, એસ.ઓ.જી. ટીમે કાલોલ તાલુકાના કાશીયાઘોડા ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી અને આરોપી વિનોદ પરમારને ઝડપી પાડ્યો હતો. કાયદેસરની કાર્યવાહી માટે તેને વેજલપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
બોટાદ જિલ્લાના ગઢડામાં આજે ખેત શ્રમિકોએ મોટી સંખ્યામાં એકઠા થઈ પોતાની પડતર માંગણીઓ મુદ્દે આક્રમક વિરોધ પ્રદર્શન કર્યું હતું. કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનમાં આર્થિક સહાય અને શ્રમિક પરિવારોની મહિલાઓની સુરક્ષા જેવા ગંભીર મુદ્દાઓ સાથે શ્રમિકોએ શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજી મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું હતું. માગણી નહીં સ્વીકારવામાં આવે તો આંદોલનને ઉગ્ર બનાવવાની ચીમકીઆ આપવામાં આવી છે. સાથેસાથે આંદોલનને ઉગ્ર બનાવીને ગાંધીનગર કૂચ કરવાની ચીમકી આપવામાં આવી છે. 10 હજાર કરોડના પેકેજમાં હિસ્સાની માગરાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદને પગલે ખેડૂતો માટે 10,000 કરોડ રૂપિયાના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. જોકે, આ સહાયમાં ભાગીયા તરીકે ખેતી કરતા શ્રમિકોનો સમાવેશ કરવામાં ન આવતા ભારે રોષ ફાટી નીકળ્યો છે. શ્રમિકોએ જણાવ્યું હતું કે, તેઓ 200થી 500 કિલોમીટર દૂરથી આવીને 27થી 30 ટકા ભાગે જમીન વાવી ગુજરાન ચલાવે છે. પાક નિષ્ફળ જવાથી તેમની આજીવિકા છીનવાઈ ગઈ છે, છતાં સરકારી સહાયથી તેઓ વંચિત છે. શોષણ અને સુરક્ષા અંગે ગંભીર આક્ષેપરેલી દરમિયાન શ્રમિકોએ વહીવટી તંત્ર સમક્ષ ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. શ્રમિક આગેવાનોના જણાવ્યા અનુસાર, ખેત મજૂરી કરતા શ્રમિકોની બહેન-દીકરીઓના યૌન શોષણની ઘટનાઓમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. ઉલટું, ન્યાય માંગવા બદલ શ્રમિકોને ડરાવવામાં અને ધમકાવવામાં આવતા હોવાનું નિવેદન કરવામાં આવ્યું છે. આંદોલનની ચીમકીગઢડા રિવરફ્રન્ટથી શરૂ થયેલી આ રેલી મામલતદાર કચેરીએ પહોંચી હતી, જ્યાં સૂત્રોચ્ચાર સાથે વાતાવરણ ગરમાયું હતું. ખેત શ્રમિક આગેવાન રાકેશ ભૂરિયાએ જણાવ્યું હતું કે, જો સરકાર શ્રમિકોની વેદના નહીં સમજે અને તાત્કાલિક સહાય જાહેર કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
કેન્દ્રશાસિત પ્રદેશ દિવને ગુજરાત સાથે જોડતો પુલ છેલ્લા ચાર વર્ષથી જર્જરિત હાલતમાં છે. 'મીની ગોવા' તરીકે ઓળખાતા દિવમાં હજારો પ્રવાસીઓ આવે છે, ત્યારે આ બિસ્માર પુલને કારણે સ્થાનિકો અને પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પુલ ઉનાના તડ ચેકપોસ્ટ અને બુચારવાડા ચેકપોસ્ટ વચ્ચે આવેલો છે. રોજિંદા હજારો વાહનો અને બહારથી આવતા પ્રવાસીઓ આ પુલ પરથી પસાર થાય છે, જેના કારણે તેની જાળવણી અત્યંત જરૂરી છે. પુલની ખરાબ હાલતને કારણે અત્યાર સુધીમાં નાના-મોટા અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે. સ્થાનિક વાહનચાલકોને રોજિંદા અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ભીંગરણ ગામના રહેવાસી હિરેનભાઈ વાજાએ જણાવ્યું હતું કે, આ બ્રિજ પરના રસ્તાનું કામ વહેલી તકે થવું જોઈએ. હું ઘણા સમયથી જોઈ રહ્યો છું કે અહીં ઘણા અકસ્માતો થાય છે. સ્થાનિક તંત્રને અપીલ કરું છું કે આ બ્રિજ પરના રસ્તાનું સમારકામ વહેલી તકે થાય. સ્થાનિક રિક્ષાચાલક બાબુભાઈ દાનાભાઈ બાંભણીયાએ પણ જણાવ્યું કે, બ્રિજનો રસ્તો બિસ્માર હોવાથી વાહન ચલાવવામાં તકલીફ પડે છે. આ રસ્તા પર હમણાં માટી નાખવામાં આવી છે, પહેલા તો બહુ ખાડા હતા અને તાજેતરમાં જ અહીં 4 અકસ્માત થયા છે. આ વિસ્તારના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના લોકો, જેમની રોજિંદી અવરજવર દિવ હોય છે, તેમને આ બ્રિજ પરથી પસાર થવું પડે છે. સ્થાનિક ગામના આગેવાનોએ પણ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં પુલનો રસ્તો બિસ્માર હાલતમાં જ રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર આ ગંભીર સમસ્યા પ્રત્યે ધ્યાન આપી રહ્યું નથી અને કોઈ ગંભીર અકસ્માતની રાહ જોઈ રહ્યું છે. ભૂતકાળમાં અનેક રજૂઆતો કરવા છતાં પુલનું સમારકામ ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે સરકાર દ્વારા આ પુલનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી પ્રબળ ગ ઉઠી છે.
નાતાલ તથા નવા વર્ષની ઉજવણી દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસે સઘન વાહન ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાનમાં ડ્રંક એન્ડ ડ્રાઇવ તથા અન્ય ગુનાઓ સામે કુલ 2510 કેસ નોંધવામાં આવ્યા છે, જ્યારે હાઇવે પર અકસ્માતો અટકાવવા માટે ઓવરસ્પીડિંગના 2822 કેસ દાખલ કરવામાં આવ્યા છે. 31 ડિસેમ્બરના રોજ નવા વર્ષની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી સૂચનાઓ આપી અસરકારક કામગીરી કરવા માટે વડોદરા જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ વડોદરા ગ્રામ્ય પોલીસે મદિરાપાન કરી વાહન ચલાવતા વ્યક્તિઓ તથા હાઇવે પર ઝડપી વાહન ચલાવનારાઓને ઝડપી પાડવા વિશેષ અભિયાન ચલાવ્યું હતું. આ માટે જિલ્લામાં અલગ-અલગ ટીમો રચી વિવિધ ચેકપોઇન્ટ તથા નાકાબંધી કરવામાં આવી હતી. છેલ્લા એક અઠવાડિયા દરમિયાનતા. 23/12/2025થી તા. 30/12/2025 ડ્રંક એન્ડ ડ્રાઇવ હેઠળ મોટર વ્હીકલ એક્ટની કલમ 185 હેઠળ 1598 કેસ નોંધાયા હતા. ત્યારબાદ નવા વર્ષની ઉજવણી દરમિયાન 31/12/2025થી તા. 1/1/2026 સુધી વધુ 912 કેસ નોંધાતા કુલ 2510 કેસ થયા છે. આ ઉપરાંત, હાઇવે પર અકસ્માતો ઘટાડવા ડિસેમ્બર મહિના દરમિયાન સ્પીડ ગનનો ઉપયોગ કરી ઓવરસ્પીડિંગના કુલ 2822 કેસ કરવામાં આવ્યા છે, જેના પરિણામે અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
ભરૂચ જિલ્લામાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસિસ (108 સેવા) દ્વારા 108 જિલ્લા કચેરી ખાતે નવા વર્ષની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 108 એમ્બ્યુલન્સ સેવા, 181 મહિલા અભયમ હેલ્પલાઇન, 112 જનરક્ષક સેવા, ખિલખિલાટ, મોબાઇલ હેલ્થ યુનિટ અને મોબાઇલ વેટનરી ડિસ્પેન્સરી સહિતના વિવિધ પ્રોજેક્ટોના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે કર્મચારીઓએ કેક કાપી આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે તેમને 'સોનેરી સંકલ્પો'ની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ સંકલ્પોમાં એકાગ્રતા અને નિસ્વાર્થ ભાવનાથી પીડિતોની સેવા કરવી, ફરજ નિષ્ઠાપૂર્વક, શિસ્તબદ્ધ અને પ્રામાણિક રીતે બજાવવી, દરેક ક્ષણના મહત્વને સમજી પૂર્ણ તત્પરતાથી સેવા આપવી તેમજ આધુનિક ટેકનોલોજીના સમન્વયથી વધુ સચોટ અને ઝડપી સેવા પૂરી પાડવાની પ્રતિબદ્ધતાનો સમાવેશ થાય છે. કાર્યક્રમ દરમિયાન કર્મચારીઓએ ગયા વર્ષના અનુભવોની આપલે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખ, ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ હનીફ બલુચી તેમજ ઉપેન્દ્ર ત્રિપાઠી, ચેતન જાદવ અને યોગેશ દોશી દ્વારા કરવામાં આવ્યું હતું.
ભાવનગરમાં આજે એકાએક તાપમાનનો પારો ગગડતા ઠંડીનું જોર વધ્યું હતું અને આજે વહેલી સવારથી ભાવનગર જિલ્લામાં તાપમાનનો પારો 2.6 ડીગ્રી ગગડી 17 ડીગ્રી પહોંચતા ઠંડી નું જોર વધ્યું હતું અને ગત રાત્રીથી જ 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો,જે આજે સાવરથી પવનની ઝડપ વધી ને 10 કિલોમીટર પ્રતિ કલાક પહોંચી હતી, આજે સાવરથી એકાએક ઠંડી નું જોર વધી રહ્યું છે, આજે તાપમાનનો પારો 19.6 થીગગડીને 17 ડિગ્રીએ પહોંચ્યો હતો, અને ભેજ નું પ્રમાણ 78 ટકા પહોંચ્યું હતું, આમ, ઘીમે ધીમે શહેરભરમાં ગુલાબી ઠંડી જામતી જાય છે, ગઈકાલે રાત્રે મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19.6 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 61 ટકા અને પવનની ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી, આમ લઘુતમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો, ઘટાડાના કારણે ઠંડીનું જોર વધ્યું હતું, આમ, ગઈકાલે લઘુત્તમ તાપમાન 19.6 ડિગ્રી હતું તે આજે 2.6 ડીગ્રી ઘટી ને 17 ડીગ્રી પહોંચ્યા હતો, આથી શિયાળાની સિઝનમાં ગઈકાલે રાત્રી થી જ લઘુતમ તાપમાનમાં ઘટાડો થતા શહેરીજનો ઠંડીનું જોર જોવા મળી રહ્યું હતું, આજ સાવરથી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હિમભર્યા પવનો ફુંકાયો હતો, ગઈકાલ કરતા આજે એકાએક 2.6 ડીગ્રીમાં ઘડાડો થતાં ઠંડીનું જોર વધ્યું હતું, બપોર સુધી ઠંડા પવનો નું સામ્રાજ્ય અકબંધ જોવા મળ્યું હતું, લોકો ઘર બહાર નીકળતા પૂર્વે ગરમ વસ્ત્રોમાં સજ્જ જોવા મળ્યા હતા.
પાટડીના ધામા ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન:કથા દરમિયાન અનેક ધાર્મિક પ્રસંગો યોજાયા
પાટડી તાલુકાના ધામા ગામે શ્રી હનુમાનજી મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન હનુમાનજી મંદિરના પૂજારી મહેશબાપુ અને સમસ્ત ગ્રામજનો દ્વારા કરાયું છે. મહંત હનુમાનદાસજી બાપુ, સર્વે સાધુ સંતો અને પિતૃઓના મોક્ષાર્થે આ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના વ્યાસપીઠ પર કથાકાર રઘુવીરસિંહ હરિહર બિરાજમાન થઈ પોતાની આગવી સંગીતમય શૈલીમાં ભાવિક ભક્તોને કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથામાં પોથીના મુખ્ય યજમાન તરીકે વિભાભાઇ રાઠોડે લાભ લીધો હતો. કથા દરમિયાન પોથીયાત્રા, કપિલ જન્મ, નૃસિંહ પ્રાગટ્ય, કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન લીલા અને રૂકમણી વિવાહ સહિતના વિવિધ ધાર્મિક પ્રસંગો યોજાયા હતા. આ સપ્તાહમાં ધામા ગામ સહિત આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી કથાનો લાભ લઈ રહ્યા છે. આ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞને સફળ બનાવવા માટે મંદિરના મહંત મહેશ બાપુ સહિત સમગ્ર ગ્રામજનો જહેમત ઉઠાવી રહ્યા છે.
આગામી તારીખ 11 અને 12 જાન્યુઆરીનાં યોજાનાર વાઇબ્રન્ટ સમીટને લઈને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવનાર છે. જેને લઈને તેમના ભવ્ય સ્વાગત માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં રાજકોટનાં હોસ્પિટલ ચોક બ્રીજ, રેસકોર્સ, માધાપર ચોકડી તેમજ 150 ફૂટ રિંગરોડ સહિતના સ્થળોએ હાલ બ્યુટીફીકેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. અને રાજકોટ શહેર જાણે નવા શણગાર સજી રહ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ માટે મનપાનાં કુલ 200 જેટલા અધિકારીઓને જવાબદારી સોંપાય તેવી પણ શક્યતા છે. રાજકોટનાં મેયર નયના પેઢડીયાએ જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાતનો ભવ્ય કાર્યક્રમ આ વર્ષે રાજકોટ ખાતે હોવાથી આગામી તા. 11-12 ડિસેમ્બરનાં રોજ વડાપ્રધાન મોદી તેમજ દેશ-વિદેશનાં ઉદ્યોગપતિઓ રાજકોટ આવનાર છે. જેને લઈને રાજકોટમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં શહેરનાં વિવિધ સ્થળે બ્યુટીફીકેશનની કામગીરી કરવામાં આવી રહી છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી જુના એરપોર્ટથી લઈને કિસાનપરા સુધીનો રોડ-શો કરે તેવુ આયોજન હાલ કરવામાં આવ્યું છે. જોકે હજુ આ માટેની મિટિંગો ચાલી રહી હોય તેમાં ફેરફારની શક્યતા છે. બીજીતરફ મારવાડી કોલેજનાં સંકુલમાં આ કાર્યક્રમ યોજાનાર હોય ગઈકાલે જ અમે ત્યાં સ્થળ મુલાકાત લીધી હતી. જેમાં મારવાડી કોલેજનાં સંકુલમાં સંચાલકો અને વિદ્યાર્થીઓ દ્વારા વિશાળ ડોમ ઉભા કરવા સહિત વિવિધ તૈયારીઓ કરવામાં આવી હોવાનું જોવા મળ્યું હતું. દેશ-વિદેશનાં મહેમાનો સૌરાષ્ટ્રનાં અલગ અલગ ફરવાલાયક સ્થળોની મુલાકાત લઈ શકે તે માટે ખાસ સ્કેન કરી શકાય તેવી બુકલેટ બહાર પાડવામાં આવી છે. જેથી અન્ય દેશો કે રાજ્યોમાંથી રાજકોટ આવતા લોકો સોમનાથ, દ્વારકા સહિતના પ્રવાસન સ્થળોની માહિતી સરળતાથી મેળવી શકશે. તેમજ અટલ સરોવર ખાતે એક દિવસના ભોજનનું પણ આયોજન કરાયું હોવાથી તેની તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વાઇબ્રન્ટ સમીટને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ દેશ-વિદેશનાં ઉદ્યોગકારો રાજકોટ આવનાર છે. જેને લઈને રાજકોટ નવા રંગરૂપ સાથે તેમનું સ્વાગત કરી શકે તે માટે હાલ રોડ-રસ્તાઓ અને બ્રીજો સહિતના સ્થળે બ્યુટીફીકેશનની કામગીરી કરવામાં આવી રહી છે. આગામી સમયમાં શહેરમાં ખાસ રંગબેરંગી રોશની પણ કરવામાં આવે તેવી શક્યતા છે. રાજકોટને નવા રંગરૂપ આપવા માટે મનપાનાં તંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે.
અમદાવાદ શહેરમાં બેફામ કાર ચાલકના વધુ એક નિર્દોષ નાગરિકે પોતાનો જીવ ગુમાવ્યો છે. ગઈકાલે મોડી રાત્રે ગુજરાત કોલેજ ત્રણ રસ્તા પાસે બેફામ કાર ચાલકે એક બાઇક ચાલકને અડફેટે લીધો હતો. રસ્તા પર પૂરપાટ ઝડપે વાહન હંકાવી અજાણ્યા કાર ચાલકે બાઇક ચાલકને જોરદાર ટક્કર કરી હતી. અક્સ્માત એટલો ગંભીર હતો કે બાઇક ચાલક ચંદ્રકાંત પંચાલ રોડ પર ગંભીર રીતે ઘસડાયા હતાં. જેથી અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવાથી બાઇક ચાલક ચંદ્રકાંત પંચાલનું મોત નીપજ્યું છે. પોલીસે અજાણ્યા કારચાલકની શોધખોળ શરૂ કરી છે. પૂરપાટ ઝડપે આવી બાઈકને જોરદાર ટક્કર મારી અમદાવાદ શહેરમાં રાત્રે બેફામ વાહન હંકાવી કાર ચાલકો નિર્દોષ લોકોના જીવ લઈ રહ્યા છે. ગઈકાલે(1 જાન્યુઆરી) મોડી રાત્રે 45 વર્ષીય ચંદ્રકાંતભાઈ પંચાલ બાઇક લઈને નીકળ્યા હતા. ચંદ્રકાંતભાઈ પંચાલ અર્ચનાબેન ઓઝાને પોતાની બાઇક પર બેસાડીને પાલડીથી ચાણક્યપુરી તરફ જઈ રહ્યા હતા. ત્યારે બાઇક લઈને ગુજરાત કોલેજ ત્રણ રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક બેફામ વાહન ચાલકે પૂરપાટ ઝડપે આવી બાઈકને જોરદાર ટક્કર મારી હતી. બાઇક રોડ પર ઢસડાયુ, એકનુ મોતઅજાણ્યા કાર ચાલકે બાઈકને ટક્કર મારતા બાઇક રોડ પર ઢસડાયુ હતું. જે દરમિયાન ચંદ્રકાંતભાઈ રોડ પર ઢસડાતા જમણા હાથે તેમ જ છાતીના ભાગે પાંસળીમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે એસવી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ચંદ્રકાંતભાઈ મોત નીપજ્યું છે. કારચાલક અકસ્માત સર્જીને ફરારજોકે અકસ્માત સર્જાયા બાદ કારચાલક ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. અકસ્માત સર્જાયા બાદ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જે બાદ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન અશોક એન્ડ રીટા પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝીયોથેરાપી (ARIP) દ્વારા નેશનલ ફિઝીયોથેરાપી કોન્ફરન્સ 'CHAPCON 2025'નું સફળતાપૂર્વક આયોજન કરાયું હતું. 'Advancing Frontiers of Physiotherapy: Innovate, Integrate, and Illuminate' થીમ હેઠળ યોજાયેલી આ કોન્ફરન્સમાં 150થી વધુ ડેલીગેટ્સે ભાગ લીધો હતો. CHAPCON 2025નું ઉદ્ઘાટન નેશનલ કમિશન ફોર એલાઈડ એન્ડ હેલ્થકેર પ્રોફેશન્સના ચેરમેન ડો. યજ્ઞા શુક્લાએ કર્યું હતું. તેમણે NCAHP ફ્રેમવર્ક અને ભારતમાં એલાઈડ હેલ્થકેર શિક્ષણ તેમજ પ્રોફેશનલ પ્રેક્ટિસ સાથે તેની સુસંગતતા પર પ્રવચન આપ્યું. ચારુસેટ યુનિવર્સિટીએ નેશનલ લેવલની કોન્ફરન્સના આયોજન માટે સતત પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું, જે તેની શૈક્ષણિક પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ કોન્ફરન્સે ફિઝીયોથેરાપીના વિદ્યાર્થીઓ, ક્લિનિશિયનો, શિક્ષણવિદો અને સંશોધકોને જ્ઞાનના આદાનપ્રદાન અને પ્રોફેશનલ નેટવર્કિંગ માટે એક વ્યાપક પ્લેટફોર્મ પૂરું પાડ્યું. ભારતના વિવિધ રાજ્યોના પ્રખ્યાત વક્તાઓએ 10થી વધુ કી-નોટ સેશન, પેનલ ડિસ્કશન અને પ્રદર્શન સત્રો દ્વારા તેમની કુશળતા રજૂ કરી. વૈજ્ઞાનિક ચર્ચાઓ ફિઝીયોથેરાપી પ્રેક્ટિસમાં તાજેતરની પ્રગતિ, રિહેબીલીટેશનમાં ટેકનોલોજીનું એકીકરણ, પુરાવા-આધારિત ક્લિનિકલ નિર્ણય લેવા અને દર્દીની સંભાળ માટેના અભિગમો પર કેન્દ્રિત હતી. આ સત્રોએ ફિઝીયોથેરાપી શિક્ષણ અને ક્લિનિકલ પ્રેક્ટિસમાં વર્તમાન વલણો અને ભવિષ્યની દિશાઓ વિશે મૂલ્યવાન માહિતી પૂરી પાડી. કોન્ફરન્સમાં 60થી વધુ સાયન્ટીફીક પેપર્સ અને પોસ્ટર પ્રેઝન્ટેશન પણ રજૂ થયા. આનાથી સંશોધન અભિગમને પ્રોત્સાહન મળ્યું અને યુવા વ્યાવસાયિકોને ફિઝીયોથેરાપી સાહિત્યમાં યોગદાન આપવા પ્રોત્સાહિત કરાયા. ઇન્ટરેક્ટિવ સેશન અને હેન્ડ્સ-ઓન પ્રદર્શનોએ સિદ્ધાંતને ક્લિનિકલ એપ્લિકેશન સાથે જોડીને શીખવાના અનુભવને વધુ મજબૂત બનાવ્યો હતો. સમાપન સમારોહમાં ગુજરાત સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થ કેર કાઉન્સિલના ચેરમેન ડો. નેહલકુમાર શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. તેમણે ડેલીગેટ્સને ફિઝીયોથેરાપી ક્ષેત્રમાં શ્રેષ્ઠતા, નૈતિક પ્રેક્ટિસ અને નવીનતા માટે પ્રયત્નશીલ રહેવા પ્રોત્સાહિત કર્યા. ARIPના પ્રિન્સીપાલ ડો. ધ્રુવ દવેના માર્ગદર્શન હેઠળ આયોજન સમિતિ, ફેકલ્ટી મેમ્બર્સ અને વિદ્યાર્થી સ્વયંસેવકોના પ્રયાસોથી CHAPCON 2025 સફળતાપૂર્વક સંપન્ન થઈ. આ કોન્ફરન્સે નવીનતા, પુરાવાના એકીકરણ અને સમાજના લાભ માટે શ્રેષ્ઠ પ્રથાઓ દ્વારા ફિઝીયોથેરાપીને આગળ વધારવાના વિઝનને પ્રદર્શિત કર્યું હતું.
ગત 31 ડિસેમ્બરના રોજ નવા DGP તરીકે ડો.કે.એલ.એન. રાવનું ઇન્ચાર્જ ડીસીપી તરીકે નામ જાહેર કરવામાં આવ્યું હતું. આ સાથે જ કાયમી પોલીસ વડાના નામને લઈ પોલીસ બેડામાં અનેક અટકળો વહેતી થઈ હતી. આ અટકળો વચ્ચે હવે શમશેરસિંઘને દિલ્હીથી પરત ગુજરાત કેડરમાં બોલાવી લેવામાં આવ્યા છે. આમ કે.એલ.એન.રાવને ઈન્ચાર્જ ડીજી બનાવાયાના એક દિવસ બાદ મોટો ફેરફાર ગુજરાત પોલીસ બેડામાં શું રંધાઈ રહ્યું છે? કેન્દ્રના ગૃહ મંત્રાલયે મહત્વપૂર્ણ નિર્ણય લેતા 1991 બેચના ગુજરાત કેડરના વરિષ્ઠ IPS અધિકારી શમશેર સિંઘને BSFમાંથી સમય પહેલાં જ તેમના પેરેન્ટ કેડર ગુજરાતમાં પરત મોકલવાનો આદેશ કર્યો છે. તેઓ હાલ BSFમાં ADG તરીકે ફરજ બજાવી રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 2 જાન્યુઆરી 2026ના રોજ બહાર પાડવામાં આવેલા ઓફિસ મેમોરેન્ડમ મુજબ, શમશેર સિંહની તાત્કાલિક અસરથી પ્રિમેચ્યોર રિપેટ્રિએશન મંજૂર કરવામાં આવી છે. તેમને રિલીવ કરવામાં આવેલી તારીખ અંગેની જાણકારી ગૃહ મંત્રાલયને આપવામાં આવશે. આ આદેશની નકલ ગુજરાતના ચીફ સેક્રેટરી તથા ગુજરાતના પોલીસ મહાનિર્દેશક (DGP)ને પણ મોકલવામાં આવી છે. મહત્વનું છે કે, છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં આગામી DGP અંગે ચર્ચાઓ ચાલી રહી છે, એવામાં આ નિર્ણયને ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. શું શમશેરસિંઘ નવા કાયમી DGP બનશે?શમશેર સિંહ 1991 બેચના અનુભવી IPS અધિકારી છે અને કેન્દ્રમાં BSF જેવા અર્ધસૈનિક દળમાં ADG પદે રહી ચૂક્યા છે. સામાન્ય રીતે, કેન્દ્રથી રાજ્યમાં સમય પહેલાં પરત ફરતા વરિષ્ઠ IPS અધિકારીઓને મહત્વપૂર્ણ જવાબદારી માટે તૈયાર કરવામાં આવે છે, એવો વહીવટી વર્તુળોમાં અંદાજ છે. ગુજરાતમાં હાલમાં ઈન્ચાર્જ DGP તરીકે કે એલ એન રાવની નિમણૂક કરવામાં આવી છે. આવી પરિસ્થિતિમાં શમશેર સિંહની અચાનક અને તાત્કાલિક રિપેટ્રિએશનને નવા DGPની પસંદગી સાથે જોડીને જોવામાં આવી રહી છે. સિનિયોરિટીને જોતા મજબૂત દાવેદારજો કે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી, પરંતુ સીનિયરિટી, કેન્દ્ર-રાજ્યનો અનુભવ અને સુરક્ષા ક્ષેત્રનો વિશાળ અનુભવ તેમને DGP રેસમાં મજબૂત દાવેદાર બનાવે છે. આવનારા દિવસોમાં ગુજરાત પોલીસના ટોચના પદે કોણ બેસશે તે અંગે ચિત્ર વધુ સ્પષ્ટ થવાની શક્યતા છે. ડો. શમશેર સિંઘ જ્યારે રાજ્યમાં હતા ત્યારે તેઓ એસીબીના વડા તરીકે ફરજ બજાવી ચુક્યા હતા. તેઓ એક વડોદરાના પોલીસ કમિશનર તરીકે પણ પોતાની કામગીરી બજાવી ચુક્યા છે. દરમિયાન તેઓ ડેપ્યુટેશન પર ગુજરાત બહાર બીએસએફમાં ફરજ બજાવી રહ્યા હતા. ACBમાં ભાટિયા અને શમશેરસિંઘની જોડી જામી હતીઅગાઉ જ્યારે આશિષ ભાટીયા અને શમશેરસિંઘ એસીબીમાં હતા ત્યારે તેમની કામગીરી નોંધપાત્ર બની હતી. તેઓની સારી કામગીરીના કારણે ભ્રષ્ટાચાર પર નિયંત્રણ આવ્યું હતું. જોકે તેઓ હાલ ડેપ્યુટેશન પર હોવાથી રાજ્યમાં પરત આવશે કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે. તેવામાં તેમના નામનો પણ રાજ્યના પોલીસવડા તરીકે ગણગણાટ થઈ રહ્યો છે. આઇપીએસ વિકાસ સહાય બાદ તે પણ સિનિયર મોસ્ટની કેટેગરીમાં આવે છે. 31 ડિસે.ની સાંજે રાવને ઇન્ચાર્જ ડીસીપી બનાવ્યા હતારાજ્ય પોલીસ વડા તરીકે અત્યારે કાયમી ડીજીપી નહીં પરંતુ ઇન્ચાર્જ ડીજીપી તરીકે ડો. કે. એલ એન.રાવને મૂકવામાં આવ્યા છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય આજે (31 ડિસેમ્બર, 2025)નિવૃત્ત થઈ ગયા છે ત્યારે તેમની જગ્યાએ ચાર્જ આપવા માટે ઇન્ચાર્જ પોલીસવડાની નિમણૂક કરવાની હોવાથી અત્યારે હાલમાં ડો. કે. એલ. એન. રાવને ઇન્ચાર્જ ડીજીપી બનાવવામાં આવ્યા છે. ડીજીપી સાથે જોડાયેલી મહત્ત્વની વાતો, સુપરસીડથી લઈ સરકારની પસંદગીસામાન્ય રીતે તેવા જ અધિકારીની પસંદગી થતી હોય છે કે જે સરકારની ગુડ બુકમાં હોય છે, કેમ કે બે વર્ષ સુધી તેમને બદલવા મુશ્કેલ હોય છે. અનેક અધિકરીઓ દાવા કરતા રહે છે કે સરકારની નજીક અમે છીએ, પરંતુ સરકાર ઇચ્છે તો અમુક અધિકારીઓને સુપરસીડ કરી અન્ય અધિકારીને પણ પોસ્ટિંગ આપી શકે છે. રાજ્યમાં ડીજીપીનો નિર્ણય ન લઇ રાજ્ય સરકાર ઇચ્છે તો ઇન્ચાર્જ ડીજીપી પણ બનાવી શકે છે, પરંતુ એ ગાઇડલાઇનમાં આવતું નથી, પરંતુ સરકાર ખાસ કિસ્સામાં ઇચ્છે તો કરી શકે છે. ડીજીપી બનવાની પ્રક્રિયા શું હોય છે? સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન શું હોય છે? ગુજરાતમાં સરકારે ક્યારેય સુપરસીડ કરીને જુનિયરને ડીજીપી નથી બનાવ્યાજો અમુક કિસ્સામાં સરકારને ડીજીપી ન બનાવવા હોય તો આગલા અધિકારીને એક્સટેન્શન પણ આપવામાં આવતું હોવાની વાતને નકારી શકાય એમ નથી. અમુક અધિકારીઓ માટે રાજ્યમાં ચોક્કસ લોબી સક્રિય બની હોવાના કિસ્સા પણ છે. એવામાં કેટલાક આઇપીએસ અધિકારીઓ વચ્ચે તો શીતયુદ્ધ પણ થયાં છે. થોડા સમય પહેલાં પણ એક શહેરમાં આઇપીએસ અધિકારીઓ વચ્ચે શીતયુદ્ધ થયું હતું અને એ ઝઘડાની વાત સરકાર સુધી પહોંચી હતી. એક આઇપીએસ ઓફિસર ડીજીપી ન બની શકે એટલે બીજા બે આઇપીએસ અધિકારીઓએ તેની ઊંડાણપૂર્વક ગોઠવણ કરી સરકાર સુધી ચોક્કસ માહિતી મોકલી હતી. એકવાર એવું થયું કે અગાઉ એક આઇપીએસને ડીજીપી બનાવવા માટે પૂર્વ ડીજીપીએ જ સરકાર સાથે વાટાઘાટો કરી હતી અને તેઓ વાટાઘાટોમાં સફળ થયા હતા. અગાઉ એક આઇપીએસ ડીજીપી ન બને એ માટે ખાસ એક કાર્ટલે તૈયારી કરી એક આઇપીએસને એક્સટેન્શન અપાવવાનો ખેલ પણ ખેલ્યો હોવાની ચર્ચા થઈ છે. રાજ્યમાં અત્યારસુધીમાં કોઇપણ આઇપીએસ અધિકારીને સુપરસીડ કરી તેમના સ્થાને તેમના જુનિયર આઇપીએસ અધિકારીને ડીજીપી બનાવ્યા નથી, કેમ કે આમ કરવાથી આઇપીએસ બેડામાં ભારે નારાજગી અને અસંતોષની લાગણી ફેલાતી હોય છે અને સરકાર એ વિવાદમાં આવતી નથી. સામાન્ય રીતે તેઓ ઇન્ચાર્જ ડીજીપી બનાવીને આ વિવાદને ટાળતી હોય છે. અગાઉ ત્રણ ડીજીપીને એક્સટેન્શન આપવામાં આવ્યું હતુંરાજ્ય સરકારની ગુડ બુકમાં નામ ધરાવતા અને કડક ઇમેજ ધરાવતા આઇપીએસ શિવાનંદ ઝા લાંબો સમય ડીજીપી રહ્યા હતા. તેઓ કોરોના સમયે રાજ્યના કાયમી પોલીસવડા હતા. એ સમયે તેમને એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. તેમણે કોરોના સમયે પોલીસને ખડેપગે રાખી કામગીરી કરાવી હતી, જેમાં તેઓ દરેક જિલ્લા અને શહેરના અધિકારીઓ પાસે કામ કરાવતા હતા. તેમના સમયગાળા દરમિયાન SMCની કાર્યપદ્ધતિ પણ બદલાઇ હતી અને એની કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસની બેદરકારી સામે પગલાં પણ લેવામાં આવતાં હતાં, જેના કારણે પોલીસમાં ડરનો માહોલ રહેતો હતો. તેમના બાદ આઇપીએસ આશિષ ભાટિયાને ડીજીપી બનાવવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમને પણ તેમનાં બે વર્ષ કરતાં ઓછો સમય મળ્યો હતો. પછી નવી ગાઇડલાઇન પ્રમાણે તેમને પણ 2 વર્ષ કાર્યકાળ પૂરો કર્યા બાદ એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. એના કારણે પૂર્વ આઇપીએસ સંજય શ્રીવાસ્તવને છ મહિના કરતાં ઓછો સમયગાળો નિવૃત્તિમાં બાકી રહ્યો હોવાથી તેઓ ડીજીપી બની શક્યા નહોતા. 31 ડિસેમ્બરે નિવૃત્ત થયેલા ડીજીપી વિકાસ સહાયે એક જિલ્લામાં એસપી તરીકે કામ કર્યા બાદ સામાન્ય રીતે સાઇડલાઈન મનાતા હતા. રાજ્યમાં એક જ સરકાર હોવા છતાં તેઓ લાંબો સમય એટલે કે ત્રણ પ્રમોશન સાથેનો સમય સાઇડ પોસ્ટીંગમાં ગાળ્યો હતો. જેમાં રક્ષાશક્તિ યુનિવર્સિટી, કરાઇ પોલીસ એકેડમી સહિત સાઇડની જગ્યાઓ પર ફરજ બજાવી હતી. દરમિયાન રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા નિવૃત્ત થયા બાદ તેમનો ચાન્સ લાગ્યો હતો. કેમકે, તેઓ સિનિયોરિટીમાં આવતા હતા અને તેઓ નોકરીના સમયમાં નિર્વિવાદ રહ્યા છે. માત્ર એટલું જ નહીં તેમને 6 મહિનાનું એક્સટેન્શન પણ આપવામાં આવ્યું હતું.
અમરેલી જિલ્લાના ધારીના ભાડેર ગામમાં 37 દિવસ અગાઉ થયેલી યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી દીધો છે. દારૂના નશામાં અવાર-નવાર ઘરમાં ઝઘડો કરીને માતા પાસે અભદ્ર માંગણી કરતા પુત્રની કંટાળીને પિતાએ ગળે ટૂંપો આપીને હત્યા કર્યા બાદ લાશને ખેતરમાં દાટી દીધી હતી. જોકે, પાડોશીને લાશ જેવું કંઇક દેખાતા તેણે પોલીસને ટેલિફોનિક જાણ કરતા આ સમગ્ર મામલો સામે આવ્યો છે. દારૂ પી પુત્ર માતા પાસે અભદ્ર માંગણી કરતોઆ ઘટનાની વિગતે વાત કરીએ તો ધારી તાલુકાના ભાડેર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા વશરામ સેંજળીયાના બે પુત્રો પૈકી એક પુત્ર રાજકોટ ખાતે રહે છે. જ્યારે બીજો 25 વર્ષીય હિતેશ તેમની સાથે રહેતો હતો. જે દારૂ પીવાની ટેવ ધરાવતો હતો અને દરરોજ દારૂ પીને ઘરે આવીને બબાલ કરતો હતો. આ દરમિયાન ગત 24 નવેમ્બર 2025ના રોજ દરરોજની જેમ હિતેશ દારૂને ધરે આવ્યો હતો અને માતા સાથે ઝઘડો કરીને અભદ્ર માંગણી કરતો હતો. કંટાળીને પિતાએ પુત્રની હત્યા કરીઆ દરમિયાન હિતેશના પિતા વશરામ સેંજળીયા ઘરે આવી જતાં તેમણે પુત્રને સમજાવ્યો હતો, પરંતું દારૂના નશામાં હિતેશ માતા-પુત્રના સંબંધ ભૂલીને અભદ્ર માંગણી કરતો હતો, જેથી ગુસ્સામાં વશરામ સેંજળીયાએ પોતાના ઘરમાં જ ગળેટૂંપો આપીને હિતેશની હત્યા કરી દીધી હતી અને બાદમાં લાશને પોતાના જ ખેતરના સેંઢે લઇ જઇ ખાડો ખોદીને દાટી દીધી હતી. પાડોશીએ પોલીસને જાણ કરીઆ ઘટના બાદ પરિવાર રુટિન જીવન જીવી રહ્યો હતો, પરંતું ગત 31 ડિસેમ્બરના રોજ વશરામ સેંજળીયાના ખેતરની બાજુમાં આવેલા ખેતર માલિકે ખેતરના સેંઢે કંકાલ જોતા પોલીસને ફોન કરીને જણાવ્યું હતું કે, સાહેબ મારા પાડોશી વશરામ સેંજળીયાના ખેતરમાં લાશ જેવું કંઇક કંકાલ દેખાય છે. જેથી પહેલી જાન્યુઆરીની વહેલી સવારે ધારી પોલીસ મથકનો સ્ટાફ ભાડેર પહોંચ્યો હતો અને વશરામ સેંજળીયા ખેતરમાં પંચોની હાજરીમાં કંકાલ દેખાયું ત્યાં ખોદકામ કરતા લાશ મળી આવી હતી. પોલીસે પિતાની પૂછપરછ કરી ગોળગોળ ફેરવ્યાયુવકની ડિકમ્પોઝ લાશ મળતા પોલીસે લાશને ભાવનગર ખાતે ફોરેન્સિક પી.એમ. માટે ખસેડીને પરિવારની પૂછપરછ શરૂ કરી હતી. શરૂઆતમાં પોલીસને ગોળગોળ ફેરવ્યા બાદ વશરામ સેંજળીયાએ પુત્રની હત્યા કંટાળીને કરી હોવાની કબૂલાત આપી હતી. હાલ પોલીસે વશરામ સેંજળીયાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પિતાએ પોલીસ આગળ કબૂલાત આપીઆ અંગે ASP જયવીર ગઢવીએ જણાવ્યું કે, અમને પાડોશીનો ફોન આવ્યો હતો, જે બાદ અમારી ટીમ પહોંચી તો જમીનમાં અડધુ ડાટેલું કંકાલ હતું. અમારી ટીમે પંચોની હાજરીમાં લાશને બહાર કાઢી હતી. જે બાદ પિતાને પોતાના બંને પુત્રો વિશે પૂછતા પહેલા પિતાએ ગોળગોળ ફેરવ્યા હતા. જોકે, બાદમાં પિતા ભાંગી પડ્યા હતા અને પોતે જ હત્યાને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી. હવે જુઓ હત્યાની અન્ય ઘટનાઓ અમદાવાદમાં પિતાએ ધારિયું ઝીંકી બેરોજગાર પુત્રનું કાસળ કાઢ્યું બે મહિના પહેલા અમદાવાદના રાણીપમાં પિતાએ પુત્રની હત્યા કર્યાનો કિસ્સો સામે આવ્યો હતો. બેરોજગાર પુત્ર પિતા સાથે અવારનવાર ઝઘડા કરીને હેરાન કરતો હતો, જેના કારણે પિતાએ પુત્રને ધારીયું મારીને મોતને ઘાટ ઉતારી દીધો છે. રાણીપ પોલીસે પિતા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અહિં ક્લિક કરીને સંપૂર્ણ સમાચાર વાંચો રાજકોટમાં 70 લાખના વીમા માટે પુત્રએ પિતાની હત્યા કરાવી આજથી વીસ દિવસ પહેલા વિદેશ જવાની ઘેલછામાં પુત્રએ પોતાના જ પિતાની હત્યા નિપજાવી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં રહેતા યુવકને ઈઝરાયલ નોકરી કરવા જવા માટે પૈસાની જરુરિયાત હતી. જે પૈસાની જરુરિયાત પૂર્ણ કરવા પોતાના જ પિતાનો જીવ લીધો હોવાનો ઘટસ્ફોટ થયો છે. પિતાની 70 લાખ રૂપિયાની વીમા પોલિસી હોય તે પકવવા માટે પિતરાઈ સાથે મળી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. અહિં ક્લિક કરીને સંપૂર્ણ સમાચાર વાંચો જસદણમાં પિતાએ પુત્રની હત્યા કરીજસદણના આટકોટ ગામે પિતાએ પોતાના પુત્રની હત્યા કરી છે. આટકોટમાં પાણીના ટાંકા પાસે રહેતા ઘનશ્યામ સેલિયાએ પોતાના પુત્ર તુષાર સેલિયાની હત્યા કર્યા બાદ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. અહિં ક્લિક કરીને સંપૂર્ણ સમાચાર વાંચો
યાત્રાધામ દ્વારકામાં નવા વર્ષના પ્રારંભે જ એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. વર્ષના પ્રથમ દિવસે મોડી રાત્રે એક યુવકે પવિત્ર ગોમતી ઘાટ પરથી નદીમાં ઝંપલાવીને પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આપઘાત પાછળ પ્રેમપ્રકરણ હોવાની શક્યતા સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ દ્વારકા ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ગોમતી ઘાટ પર પહોંચી ગયો હતો. અંધારી રાત્રે ભારે જહેમત બાદ ફાયર વિભાગના જવાનોએ નદીના પાણીમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવ્યો હતો અને તેને પોસ્ટમોર્ટમ અર્થે દ્વારકાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાની ચર્ચાસ્થાનિક સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક વિગતો અનુસાર, યુવકે આ આત્મઘાતી પગલું પ્રેમ પ્રકરણના કારણે ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. જોકે, આ અંગે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. સમગ્ર પંથકમાં અરેરાટીસામાન્ય રીતે નવા વર્ષની ઉજવણીમાં લોકો ઉત્સાહિત હોય છે, ત્યારે પવિત્ર યાત્રાધામમાં બનેલી આ આત્મહત્યાની ઘટનાએ શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોમાં શોકનું મોજું ફેરવી દીધું છે. પોલીસ હાલ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે યુવક ક્યાંનો રહેવાસી હતો અને આપઘાત પાછળનું સચોટ કારણ શું છે.
અમદાવાદ ઝોનની FRC કમિટીએ ખાનગી શાળાઓની ફી જાહેર કરી છે. અમદાવાદ ઝોનમાં આવતા જિલ્લાની અંદાજે 5 હજાર કરતા વધુ શાળાઓની ફી જાહેર કરવામાં આવી છે. ખાનગી શાળાઓએ ફી વધારા માટે અરજી કરી હતી. જેમાંથી કેટલી શાળાઓને ફી વધારો અપાયો છે, તો કેટલીક શાળાઓને ફી વધારો આપવામાં આવ્યો નથી. જેને લઈને હવે રાજ્ય શાળા સંચાલક મહામંડળ મેદાને આવ્યું છે. ખાનગી શાળાઓને યોગ્ય ફી વધારો ન મળતા મુખ્યમંત્રી પાસે માંગ કરવામાં આવી રહી છે. દર વર્ષે 7 મોંઘવારી વધી રહી છે તો ફી સ્લેબમાં પણ વધારો કરવા માટે માંગ કરવામાં આવી છે. તેમજ ફી સ્લેબના વધારા માટેનો રિપોર્ટ શિક્ષણ વિભાગે અટકાવી રાખ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સ્કૂલોને યોગ્ય ફી વધારો ન મળતા રાજ્ય શાળા સંચાલક મહામંડળ નારાજખાનગી શાળાઓએ ફીમાં વધારો કરવા માટે FRC કમિટી સમક્ષ દરખાસ્ત કરવી પડતી હોય છે. જે દરખાસ્તના આધારે ડોક્યુમેન્ટ તપાસ્યા બાદ FRC દ્વારા ફી નક્કી કરવામાં આવતી હોય છે. જો FRC ને યોગ્ય ન લાગે તો તેવી શાળાઓને ફી વધારો આપવામાં આવતો નથી. તેમજ ઘણી વખત તો કેટલીક શાળાઓની ફી પણ ઘટાડી દેવામાં આવતી હોય છે. જો કે હવે FRC એ જે પણ ફી વધારો આપ્યો છે કે જે પણ ફી ઘટાડો કર્યો છે તે તમામ વિગતો વેબસાઈટ પર જાહેર કરી છે. જેથી સ્કૂલોને યોગ્ય ફી વધારો ન મળતા રાજ્ય શાળા સંચાલક મહામંડળ નારાજ થયું છે. 2017 બાદથી ફી સ્લેબમાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં ન આવતા મોંઘવારીના આધારે ફી સ્લેબમાં વધારો કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે. '10 ટકાનો વધારો માંગ્યો તેની સામે 1 અથવા 2 ટકાનો વધારો અપાયો'રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, FRC વિભાગીય કચેરી દ્વારા 5840 જેટલી શાળાઓ એટલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય અને ગાંધીનગરની શાળાઓની ફીની અરજી સંદર્ભે નિર્ણય લેવામાં આવ્યો છે. જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં કેટલીક શાળાઓની ફી ઓછી કરવામાં આવી છે તો કેટલી શાળાઓએ 10 ટકાનો વધારો માંગ્યો હોય તેની સામે 1 અથવા 2 ટકાનો વધારો આપવામાં આવ્યો છે. 'રિપોર્ટ શિક્ષણ વિભાગે કબાટમાં બંધ કરી દીધો છે'વધુમાં ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, અમારી માંગણી એવી છે કે 2017માં FRCનો કાયદો અમલમાં આવ્યો હતો. જેના 8 વર્ષ થયા તેમજ રાજ્ય સરકારનું શિક્ષણ વિભાગ માને છે કે દર વર્ષે 7 ટકા મોઘવારી વધવી જોઈએ. હવે આઠ વર્ષમાં 56 ટકા મોઘવારી વધવી જોઈએ જેમાં પ્રાથમિકનો 15 હજાર ફીનો સ્લેબ 22 હજાર થવો જોઈએ, માધ્યમિકની 25 હજાર છે જે 37 હજાર થવો જોઈએ. આમ સ્લેબની વધારા માટેની જે સમિતિ રચના આવી હતી, તે રિપોર્ટ શિક્ષણ વિભાગે કબાટમાં બંધ કરી દીધો છે, કારણ કે સામે ચૂંટણી આવે છે, જેથી અમે મુખ્યમંત્રીને માંગ કરીએ છીએ કે અમારી ફીનો સ્લેબ સુધારી આપવામાં આવે અને જો તેવું થશે તો જ શાળાઓ સારી રીતે કામ કરી શકશે.
ગોધરામાં જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ કરાયું:શ્રી સેવા ઓર્ગેનાઇઝેશન અને લાયન્સ ક્લબ ગોધરાનો સહયોગ
ગોધરામાં શ્રી સેવા ઓર્ગેનાઇઝેશન ઇન્ડિયા અને યુએસએ તથા લાયન્સ ક્લબ ગોધરાના સંયુક્ત ઉપક્રમે જરૂરિયાતમંદોને ધાબળા વિતરણનો સેવાકાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ શ્રી સેવા ઓર્ગેનાઇઝેશનના ફાઉન્ડર ચેરમેન ડોક્ટર યોગેશ જોશીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. શિયાળાની કડકડતી ઠંડીમાં ગરીબ, નિરાધાર અને રસ્તા પર રહેતા લોકોને ઠંડીથી રાહત આપવાના હેતુથી આ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. માનવસેવાની ભાવનાને આગળ ધપાવવા આ પહેલ કરવામાં આવી હતી.આ સેવાકાર્યમાં શ્રી સેવા ઓર્ગેનાઇઝેશન ઇન્ડિયાના પ્રમુખ પ્રદીપભાઈ સોની અને લાયન્સ ક્લબ ગોધરાના પ્રમુખ કેતકી સોનીના હસ્તે જરૂરિયાતમંદ વ્યક્તિઓને ધાબળા અર્પણ કરવામાં આવ્યા હતા. દાતાઓના સૌજન્યથી આ કાર્ય સફળ બન્યું હતું.આ પ્રસંગે પ્રમુખ પ્રદીપભાઈ સોનીએ જણાવ્યું હતું કે, “શિયાળાની ઋતુમાં ગરીબ અને નિરાધાર લોકો માટે એક ધાબળું પણ મોટી રાહત સમાન હોય છે. સમાજ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવા આવા સેવાકાર્યો અત્યંત જરૂરી છે.”સંસ્થાએ સમાજના દરેક વર્ગને મદદરૂપ થવા અપીલ કરી હતી અને ભવિષ્યમાં પણ આવા લોકહિતના કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સ્થાનિક લોકો દ્વારા આ માનવતાભર્યા કાર્યને આવકાર મળ્યો હતો અને સંસ્થાની આ સેવાભાવી પહેલની સરાહના કરવામાં આવી હતી.
ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્ર સામે વડોદરા વકીલ મંડળે વિરોધ કર્યો છે. આ પરિપત્રમાં વકીલાતનામું નવા ફોન્ટમાં લખવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે, જેની અમલવારી નવા વર્ષથી એટલે કે 1 જાન્યુઆરી 2026થી લાગુ થયું છે. અત્યાર સુધી વકીલો સુલેખ, શ્રુતિ, ગુગલ ઇન્ડિક, ફોનેટિક કીબોર્ડ કે સરલ ફોન્ટ્સનો ઉપયોગ કરીને વકીલાતનામું તૈયાર કરતા આવ્યા છે. અચાનક આ નવા ફોન્ટ સાઈઝના નિયમથી વકીલોમાં મુંઝવણ ફેલાઈ છે કે, તાત્કાલિક આ નવા ફોન્ટ્સ કેવી રીતે લાગુ કરવા. વકીલ મંડળની મુખ્ય માંગ છે કે આ નવા નિયમ અમલમાં મૂકતા પહેલાં વકીલોને તેની તાલીમ આપવામાં આવે. વધુમાં, અચાનક નવા વર્ષથી આ નિયમ લાગુ કરવાના વિરોધમાં રજિસ્ટ્રાર પાસે ત્રણ માસની મુદત આપવાની માંગણી કરવામાં આવી છે. આ માંગણીઓ ન સ્વીકારવામાં આવે તો આંદોલનના દિવસો વધારવાની ચીમકી આપવામાં આવી છે. તે અન્વયે આજથી બે દિવસ સુધી વડોદરાના વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી વિરોધ નોંધાવશે. આ પરિપત્ર રાજ્યની તમામ જિલ્લા અદાલતોમાં A4 સાઈઝ પેપર, ફોન્ટ અને માર્જિનના નવા નિયમો સંદર્ભે જારી કરવામાં આવ્યો છે, જેનો વકીલો દ્વારા વ્યાપક વિરોધ થઈ રહ્યો છે. વડોદરા કોર્ટમાં વકીલ નિમિષા ધોતરે એ જણાવ્યું હતું કે, વડોદરા વકીલ મંડળ દ્વારા બે અને ત્રણ જાન્યુઆરીના રોજ કોર્ટ કામગીરીથી અલિપ્ત રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કારણકે નામદાર હાઇકોર્ટ તરફથી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં એક લિપિ બહાર પાડવામાં આવી છે અને આ જ લિપીનો ઉપયોગ કરીને એ4 સાઈઝમાં ફાઈલિંગ થશે. પરંતુ આ લીપીથી પકોઈ જાણકાર નથી અને તેનો ઉપયોગ કરતા પણ નથી. જેના કારણે વકીલો અને સ્ટાફને તકલીફ પડી રહી છે. જેથી અમે પરિપત્રનો વિરોધ કરીએ છીએ. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમે ત્રણ મહિના સુધી આ પરિપત્ર પર સ્ટે માંગીએ છીએ. ત્રણ મહિના સુધી અમને રાહત આપો. અમે આ લિપી માટે ટ્રેનિંગ સેશન શરૂ કરીશું. આ દરમિયાન જે લિપી ચાલે છે તેનાથી જ ફાઈલિંગ ચલાવવામાં આવે તેવી અમારી માંગણી છે.
દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. રાસાયણિક ખાતર અને ઝેરી દવાઓના અતિરેકથી જમીનની ફળદ્રુપતા અને માનવ સ્વાસ્થ્ય પર થતા પ્રતિકૂળ અસરોને ધ્યાનમાં રાખી, હવે દેશભરમાં કુદરત આધારિત ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે ગુજરાત રાજ્ય સહિત ભાવનગર જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આત્મવિશ્વાસપૂર્વક આગળ વધી રહ્યા છે. ભાવનગર જિલ્લામાં તાલુકા ક્લસ્ટર દીઠ ખેડૂતોને તાલીમ આપીને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ તાલીમ દરમિયાન દેશી ગાય આધારિત ખેતી પદ્ધતિ, બીજામૃત, જીવામૃત અને ઘનામૃતના ઉપયોગ અંગે વિસ્તૃત સમજ પૂરી પાડવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીમાં જીવામૃતનું વિશેષ મહત્ત્વ છે, જે જમીનમાં રહેલા સૂક્ષ્મજીવોને સક્રિય બનાવી જમીનની ફળદ્રુપતા વધારવામાં સહાયરૂપ બને છે. દેશી ગાય આધારિત ખેતીનો મહિમા પ્રાકૃતિક ખેતીનો આધાર મુખ્યત્વે દેશી ગાય પર છે. દેશી ગાયના ગૌમૂત્ર, ગોબર અને છાસમાંથી તૈયાર થતી વિવિધ કુદરતી દવાઓ જમીનને જીવંત રાખે છે. જીવામૃત અને ઘનામૃતના નિયમિત ઉપયોગથી પાકની વૃદ્ધિ સારી થાય છે, ઉત્પાદન ખર્ચ ઘટે છે અને જમીનની ગુણવત્તા લાંબાગાળે જળવાઈ રહે છે. પ્રાકૃતિક વસ્તુઓ અને વનસ્પતિઓની ઉપયોગિતા પ્રાકૃતિક ખેતીમાં કોઈપણ પ્રકારના કેમિકલ વગર ઝાડના પાંદડા, બેસન અથવા દાળનો લોટ, ગોળ, લીમડાના પાંદડા, ગૌમૂત્ર, તાજી છાસ અને પાણીમાંથી તૈયાર થતું અમૃતપાણી પાકના સર્વાંગી વિકાસમાં ઉપયોગમાં લેવાય છે.પાકમાં થનારા હાનિકારક કીડા-કીટકોના નિયંત્રણ માટે પેન્ટાફાઈટર ઉપયોગી સાબિત થાય છે. ગૌમૂત્ર, કડવા લીમડા, તીખા મરચાં અને દેશી લસણમાંથી તૈયાર થતું ‘અગ્નિયાસ્ત્ર’ ઈયળો અને જીવાતોથી પાકનું અસરકારક રક્ષણ કરે છે. ડાંગર અને તુવેર જેવા પાકોના બીજને પડ આપવા માટે બીજામૃતનો ઉપયોગ કરવામાં આવે છે, જે અંકુરણ ક્ષમતા વધારવામાં મદદરૂપ બને છે.ટકાઉ ખેતી તરફ મજબૂત પગલાંપ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો, જમીનની લાંબાગાળાની ફળદ્રુપતા, પર્યાવરણનું સંરક્ષણ અને માનવ સ્વાસ્થ્યમાં સુધારો શક્ય બને છે. સરકારના માર્ગદર્શન અને તાલીમથી હવે વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે, જે ભવિષ્યમાં ટકાઉ કૃષિ વ્યવસ્થાનો મજબૂત આધાર બનશે.
સાળંગપુર પાસે કાર-ડમ્પર અકસ્માત:ગુંદા ચોકડી પાસે થયેલા અકસ્માતમાં બે લોકોને ઈજા, પોલીસ તપાસ શરૂ
બરવાળાના સાળંગપુર નજીક એક i10 કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટના સાળંગપુર ગુંદા ચોકડી પાસે બની હતી. આ અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તારીખ 3 જાન્યુઆરી,2026 ને શનિવારના રોજ સવારે 10:00 કલાકે શ્રી અટલ બિહારી વાજપેયી ઓપન એર થીયેટર, મોતીબાગ ટાઉન હોલમાં ક્લસ્ટર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં એસએસસી/એચએસસી/ ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ /આઈટીઆઈ /ડિપ્લોમાં લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ફીટર, વેલ્ડર, ઓપરેટર, વાયરમેન, એચ.આર. સેલ્સ, મેન્ટેનન્સ, બ્યુટિશિયન, હેર ડ્રેસર, ફ્લોર મેનેજર, સોશિયલ મીડિયા મેનેજર, પરચેઝ મેનેજર, એડમીન, માર્કેટિંગ હેડ, કન્ટેન્ટ ક્રિએટર, ફોટોગ્રાફર, કેશિયર, હાઉસ કીપિંગ, સ્ટોક ઇન્ચાર્જ, કાઉન્સેલર વગેરે જગ્યાઓ ભરવાની છે. ઉક્ત શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતી મેળામાં રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યૂ માટે રિઝ્યુમની કોપી સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા તેમજ નોકરીદાતા, જગ્યા અને જરૂરી લાયકાત અંગેની વિસ્તૃત માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીની ટેલિગ્રામ ચેનલ EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)ની મુલાકાત લેવા જિલ્લા રોજગાર અધિકારીશ્રી, ભાવનગરની અખબારી યાદીમાં જણાવ્યું છે.
1500 કરોડના જમીન NA (બિનખેતી)કરાવવાના કૌભાંડ મામલે EDએ 23 ડિસેમ્બર, 2025ના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓનાં નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. ત્યાર બાદ બપોરે આ કેસમાં એસીબી સુરેન્દ્રનગરમાં ઇડીના અધિકારીએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયૂર ગોહિલ અને કલેક્ટરના અંગત મદદનીશ જયરાજસિંહ ઝાલા સામે લાંચ-રુશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધાવ્યો હતો. ત્યાર બાદ તેની ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. આ મામલે હવે રાજેન્દ્ર પટેલની ઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. ઈડીની ત્રણ ટીમો ગાંધીનગર સ્થિત તેમના નિવાસ્થાને પહોંચી હતી. જ્યાં હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે. હવે તેની ધરપકડ થવાની પણ શક્યતા છે. ACBમાં નોંધાયેલી ફરિયાદમાં ઘટસ્ફોટ થયો છે કે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ 1 કરોડની લાંચ લીધી છે અને તેમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયૂર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલા સામેલ છે. માત્ર એટલું જ નહીં, એક શીટમાં દલાલોનાં નામ અને તેમને આપવાની રકમ પણ લખેલી હોવાનું સામે આવ્યું હતું. બેડરૂમમાંથી 67 લાખની કેશ મળી23 ડિસેમ્બરે દિલ્હી ખાતે આવેલી EDની સ્પેશિયલ ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીના રહેણાક પરિસરમાં PMLAની કલમ 17 હેઠળ હાથ ધરવામાં આવેલી સર્ચ કાર્યવાહી દરમિયાન 67.50 લાખની રોકડ રકમ રિકવર કરી જપ્ત કરવામાં આવી હતી. આ રોકડ રકમ તેમના બેડરૂમમાં છુપાવેલી મળી આવી હતી. આરોપી ચંદ્રસિંહ મોરીએ 23 ડિસેમ્બર, 2025ના રોજ PMLAની કલમ 17 હેઠળ નોંધાયેલા તેમના નિવેદનમાં સ્વીકાર્યું છે કે જપ્ત કરાયેલી રોકડ રકમ જમીનના હેતુફેરની અરજીઓના ઝડપી અથવા સાનુકૂળ નિકાલ માટે સીધી રીતે અથવા વચેટિયાઓ દ્વારા અરજદારો પાસેથી માગેલી અને એકઠી કરેલી લાંચની રકમ છે. આ પણ વાંચો: 1500 કરોડના જમીનકૌભાંડ મામલે સુરેન્દ્રનગર કલેક્ટર સામે એસીબીમાં FIR સૂત્રોએ માહિતી આપી ને ઈડી ત્રાટકીઈડીના ડાયરેક્ટર સિદ્ધાર્થ જૈને ACBમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે વિશ્વસીનય સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે સુરેન્દ્રનગરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોટે પાયે જમીનકૌભાંડ આચરવામાં આવી રહ્યું છે, જેમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સહિતના લોકો સામેલ છે. ચંદ્રસિંહે લીધેલી 1 કરોડની લાંચમાં કલેક્ટરની પણ સંડોવણીચંદ્રસિંહ મોરીએ ઈડી સમક્ષ સ્વીકાર્યું કે જમીનની ફાઇલ ક્લિયર કરવા માટે સ્કવેરમીટરદીઠ 10 રૂપિયાના ભાવથી લાંચ લેવામાં આવતી હતી. ચંદ્રસિંહ મોરીના પ્રિમાસિસમાંથી મળેલા દસ્તાવેજોમાં 1 કરોડની લાંચ લીધી હોવાના દસ્તાવેજી પુરાવા મળ્યા છે. જ્યારે સૌથી આંચકાજનક વાત તો એ છે કે ચંદ્રસિંહ મોરીએ સ્વીકાર્યું છે કે જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલ, કલેક્ટરના ક્લાર્ક મયૂર ગોહિલ, કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા આ કૌભાંડમાં સામેલ છે અને લાંચના પણ ભાગીદાર છે. પ્રિન્ટેડ શીટમાં હજુ અનેક રહસ્યો ધરબાયેલાંEDને સર્ચ દરમિયાન એક પ્રિન્ટેડ શીટ મળી આવી છે, જેમાં ઓનલાઇન અરજીનો નંબર, જમીનની વિગત, સર્વે નંબર, કયા પ્રકારની અરજી છે એ સહિતની વિગતો હતી. આ ઉપરાંત કયા અરજદાર પાસે કેટલી લાંચ લેવામાં આવી એની પણ વિગતો હતી. આ શીટમાં વચેટિયાઓ, કમિશન એજન્ટનાં પણ નામ હતાં. માત્ર એટલું જ નહીં, શીટના ડેટા મુજબ 2 લાખ 61 હજાર 332 સ્કવેરમીટર જમીનની ફાઇલ ક્લિયર કરવા માટે 26 લાખ 17 હજાર 320ની લાંચ લેવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. શીટના નીચેના ભાગ પર પેનથી કોના કેટલા રૂપિયાનું લખાણઆ શીટના નીચેના ભાગ પર પેનથી કોના કેટલા રૂપિયા કાઢવાના છે એની પણ નોંધ કરવામાં આવી છે, જેમાં એમડીના 64 લાખ, સીબીના 60 હજાર, અશોકના 2 લાખ 83 હજાર, એચપીના 6 લાખ, રાકેશભાઈ 5000, આશિષભાઈના 70 હજાર એવી નોંધ કરવામાં આવેલી છે. ખંડણી અને ગેરકાયદે રીતે લાભ કરાવીને NA કૌભાંડ ચલાવાતુંસુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં ચાલતા આ સિસ્ટેમેટિક NA કૌભાંડની મોડસઓપરેન્ડી પણ ભલભલાને ચોંકાવી દે એવી છે. જમીન NA કરાવવા મામલે EDની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે વચેટિયાઓ અને એજન્ટો મારફત જમીન NA કરાવવામાં આવતી હતી. આયોજનબદ્ધ રીતે ખંડણી અને ગેરકાયદે રીતે લાભ કરાવીને NA કૌભાંડ ચલાવવામાં આવ્યું હતું. ચંદ્રસિંહ મોરી પાસે જમીન NAના પાવર હતાઆ કૌભાંડ CLU(ચેન્જ ઓફ લેન્ડ યુઝ) એટલે કે હેતુફેર અંતર્ગત થયેલી અરજીઓને લઈ આચરવામાં આવતું હતું. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસે જમીન NA બાબતે પાવર હતા અને એનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. આયોજનબદ્ધ રીતે જમીન NA કરી આપવા બાબતમાં રૂપિયા લેવામાં આવતા હતા. આ રૂપિયા સ્પીડ મનીના માધ્યમથી અરજી વિલંબિત રાખ્યા સિવાય કામ કરી આપવામાં આવતું હતું. અરજીના આધારે પર ચોરસમીટર મુજબ રકમ નક્કી કરવામાં આવતી હતી. વચેટિયાઓના માધ્યમથી આ રકમ અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવતી હતી. સોલર પ્લાન્ટમાં મોટેપાયે થયેલા જમીન સંપાદનનો મુદ્દોસુરેન્દ્રનગરમાં મંગળવારે (24 ડિસેમ્બર, 2025)ને સવારે પરોઢિયે 5 વાગ્યે EDએ રૂ.1500 કરોડના જમીન સંપાદન કેસ મામલે કલેક્ટર, નાયબ મામલતદાર, કલેક્ટરના પીએ, વકીલ અને ક્લાર્કની પૂછપરછ હાથ ધરી હતી. રાત્રે 10 વાગ્યા સુધી તપાસ ચાલી હતી. ત્યાં સુધી કોઇ સત્તાવાર વિગતો સામે આવી નહોતી, પરંતુ કલેક્ટરે સત્તા સંભાળ્યા બાદ નળસરોવર, ધ્રાંગધ્રાના માલવાણ, લખતરના તલસાણા અને પાટડીમાં સોલર પ્લાન્ટમાં મોટેપાયે થયેલા જમીન સંપાદનનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. કલેક્ટર જે ફાઇલનો વહીવટ કરવાનો હોય એ ઘરે લઇ જતા હતા. 5 લોકોનું નિવાસસ્થાન એપી સેન્ટરસમગ્ર તપાસનું એપી સેન્ટર આ 5 જણાનું નિવાસસ્થાન હતું. કલેક્ટરના બંગલામાંથી 100 ફાઇલ જપ્ત કરાઇ છે. એન્ફોર્સમેન્ટ ડિરોક્ટેરેટ (ED)ની ટીમે 1500 કરોડના જમીન સંપાદનમાં કટકી-બટકીના આરોપસર વર્તમાન કલેક્ટર રાજેન્દ્રકુમાર એમ.પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટરના પીએ રવિરાજસિંહ ઝાલા, કલાર્ક મયૂરસિંહ ગોહિલ અને હાઇકોર્ટના એક વકીલ સહિત પાંચ વ્યક્તિની પૂછપરછ હાથ કરી હતી.
જૂનાગઢમાં તાજેતરમાં યોજાયેલા GETCO (GEB એન્જિનિયર્સ એસોસિએશન)ના 27મા ત્રિવાર્ષિક અધિવેશનને લઈને મોટો રાજકીય અને વહીવટી વિવાદ ઊભો થયો છે. ગુજરાતના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ આ આયોજનમાં સરકારી સાધનો, નાણાં અને માનવ કલાકોનો વેડફાટ થયો હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. સામાન્ય જનતા અને સરકારી બાબુઓ માટે કાયદા કેમ અલગ-અલગ છે? તેવા સવાલો સાથે અત્યારે જૂનાગઢનું વહીવટી તંત્ર ભીંસમાં મુકાયું છે. ‘જનતાને મહિનાઓ સુધી ધક્કા, યુનિયનને ગણતરીના કલાકોમાં બે-બે ફિડર’યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતનો સામાન્ય નાગરિક જ્યારે નવા વીજ કનેક્શન માટે અરજી કરે છે, ત્યારે તેને સર્વે, કોટેશન અને લાખોની ડિપોઝિટ ભર્યા પછી મહિનાઓ સુધી કચેરીઓના ધક્કા ખાવા પડે છે. ઘણીવાર તો છ મહિના પછી પણ કનેક્શન મળતું નથી. જ્યારે આ ખાનગી યુનિયનના કાર્યક્રમ માટે ગણતરીના સમયમાં બે-બે પાવર ફીડર દ્વારા વીજ પુરવઠો પૂરો પાડવામાં આવ્યો હતો. એક જ જગ્યાએ બે ફીડરનો પાવર આપવો એ અશક્ય જેવી બાબત છે, છતાં અહીં નિયમો નેવે મૂકાયા છે. ‘કરોડોની ડિપોઝિટ અને સાધનોનો વપરાશ, કોણે ચૂકવ્યા પૈસા?’અધિવેશનના સ્થળ પર TC, DP, અનેક વીજ થાંભલાઓ અને અંડરગ્રાઉન્ડ કેબલિંગનું જાળ બિછાવવામાં આવ્યું હતું. યુવરાજસિંહના મતે, આ પ્રકારના પ્રોજેક્ટ માટે કરોડો રૂપિયાની ડિપોઝિટ ભરવી પડે છે. શું એસોસિએશને આ રકમ ભરી છે? તેમણે સવાલ ઉઠાવ્યો છે કે, અંડરગ્રાઉન્ડ 11kv કેબલિંગનો ખર્ચ, જે મીટર દીઠ આશરે 10,000 રૂપિયા થાય છે, તે કોના માથે ઉધારાશે? વળી, ટેકનિકલ નિયમો મુજબ જોઈન્ટને બદલે ડિયો મૂકવાના હોય છે, તેને બદલે સીધા જોઈન્ટ કરીને જોખમી રીતે બાયપાસ કામગીરી કરવામાં આવી છે. સરકારી ગાડીઓ અને ટેકનિકલ સ્ટાફનો દુરુપયોગવધુમાં આક્ષેપ કરતા કહ્યું કે, જૂનાગઢ સર્કલ હેઠળની લગભગ 40 જેટલી સરકારી બોલેરો ગાડીઓ, જેમાં અધિક્ષક ઈજનેર અને કાર્યપાલક ઈજનેરના વાહનોનો સમાવેશ થાય છે, તેનો ઉપયોગ આ ખાનગી કાર્યક્રમમાં બેરોકટોક થયો હતો. આ ઉપરાંત, PGVCL અને GETCO ના ટેકનિકલ સ્ટાફને, જેઓ AGVKS ના સભ્યો છે, તેમને ચાલુ ફરજ પર દેખાડીને આ ખાનગી મહોત્સવની સેવામાં જોડી દેવામાં આવ્યા હતા. આ રીતે સરકારી કર્મચારીઓના હજારો માનવ કલાકો એક પ્રાઈવેટ તાયફા પાછળ વેડફવામાં આવ્યા છે. RTI દ્વારા ખુલાસાની માગ સાથે યુવરાજસિંહના સણસણતા સવાલોયુવરાજસિંહ જાડેજાએ આ સમગ્ર મામલે સવાલો ઊભા કર્યા છે તે છે કે શું આટલા મોટા વીજ સેટઅપ માટે કાયદેસરની ડિપોઝિટ અને કોટેશનની રકમ ભરવામાં આવી છે?, શું હેડક્વાર્ટર છોડવા માટે અધિકારીઓએ પૂર્વ મંજૂરી મેળવી હતી? સરકારી વાહનોનો ઉપયોગ ખાનગી એસોસિએશનના કામમાં કરવાની મંજૂરી કોણે આપી? તેમણે ઉમેર્યું કે, સામાન્ય માણસને જો એક થાંભલો બે ફૂટ ખસેડવો હોય તો પણ પરસેવો છૂટી જાય છે, તો આ અધિકારીઓ માટે લાલ જાજમ કોના આશીર્વાદથી બિછાવવામાં આવી? એસોસિએશને આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યાંબીજી તરફ, GEB એન્જિનિયર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી હરેશ વઘાસિયાએ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આ 7,000 સભ્યો ધરાવતું રાજ્યનું રજિસ્ટર્ડ એસોસિએશન છે. અધિવેશન માટે વન વિભાગ, માર્ગ-મકાન, વીજ વિભાગ અને ફાયર સેફ્ટીના તમામ કાયદેસરના NOC અને મંજૂરીઓ અગાઉથી મેળવવામાં આવી હતી. સંસ્થા વિરુદ્ધ કરવામાં આવેલા આક્ષેપો તદ્દન પાયાવિહોણા અને નકારાત્મક માનસિકતા દર્શાવે છે. શું આ અધિવેશનના નામે સરકારી તિજોરી પર બોજ છે?એક ગંભીર આક્ષેપ એવો પણ છે કે, ઉર્જા મંત્રીની હાજરીને કારણે આ સમગ્ર ઈલેક્ટ્રીફિકેશનને કોઈ સરકારી પ્રોજેક્ટ (SI Project) ના નામે ખપાવી દઈને મફતમાં કરાવી લેવાની પેરવી કરવામાં આવી છે. પ્રજાની સુખાકારી માટે જે ટેકનિકલ સ્ટાફ હોવો જોઈએ, તેનો ઉપયોગ ખાનગી કાર્યક્રમમાં કરવો એ નિયમ વિરુદ્ધ છે.હાલમાં આ મુદ્દો જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાતના વહીવટી વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
રાજ્યમાં 4 જાન્યુઆરીના રવિવારના રોજ GPSC દ્વારા સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની 323 જગ્યા પર ભરતી માટેની પરીક્ષા લેવામાં આવનાર છે જેમાં રાજકોટ જિલ્લામાં 25 પરીક્ષા કેન્દ્ર પરથી 5,222 ઉમેદવારો પરીક્ષા આપવાના છે. રાજ્યના મુખ્ય જિલ્લા મથકેથી લેવામાં આવનાર આ પ્રિલિમ્સ એક્ઝામમાં નેગેટીવ માર્કિંગ રાખવામાં આવ્યું છે. આ પરીક્ષામાં પાસ થનારા ઉમેદવારો આગામી સમયમાં મેઈન્સની એક્ઝામ આપશે. એક્સપર્ટ દિનેશ કણેતે દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યુ હતું કે, તા.4 જાન્યુઆરીના GST વિભાગમાં સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર બનવા માટેની પ્રિલિમ્સ એક્ઝામ યોજાવાની છે. જેમાં MCQ આધારિત પેપર હશે. 200 માર્કના આ પેપરમાં નેગેટીવ માર્કિંગ સિસ્ટમ રાખવામાં આવી છે. 0.33 માઇનસ સિસ્ટમ છે એટલે કે ત્રણ જવાબો ખોટા લખવામાં આવે તો સાચા જવાબો માંથી એક માર્ક કપાશે. તમામ જિલ્લા મથકોએ આ પરીક્ષા લેવામાં આવનાર છે. આ પરીક્ષામાં પાસ થતા ઉમેદવારો મેઇન્સ એક્ઝામ આપશે. રાજકોટ સહિત રાજ્યના મુખ્ય જિલ્લા મથકેથી GPSC દ્વારા આ સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવનાર છે. જેમાં પરીક્ષાનો સમય બપોરે 11 થી 1 વાગ્યાનો રાખવામાં આવ્યો છે. જોકે પરીક્ષાર્થીઓને પરીક્ષાના એક કલાક પહેલા કેન્દ્ર પર એન્ટ્રી મેળવી લેવાની રહેશે. આ એક્ઝામમાં કોઈપણ પ્રકારની જેવી રીતે ન થાય તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને જિલ્લા વહીવટી તંત્રના સ્ટાફ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જે માટેની એક બેઠક પણ ગઈકાલે કલેકટર કચેરી ખાતે મળી હતી.
જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ખજુરી હડમતીયા ગામમાં સરકારી કૃષિ રાહત પેકેજમાં આચરેલા કૌભાંડનો મામલો હવે ગંભીર વળાંક પર પહોંચ્યો છે. જે VCE વિરુદ્ધ 9.50 લાખ રૂપિયાની ઉચાપતની ફરિયાદ નોંધાઈ હતી, તેણે આક્ષેપોથી વ્યથિત થઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. હાલ આ VCE સારવાર હેઠળ છે, જ્યારે બીજી તરફ પરિવારે તેને નિર્દોષ ગણાવી આખું ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો છે. તો પરિવારે જયેશને ફસાવવામાં આવ્યું હોવાના આક્ષેપ કર્યા છે, હાલ જયેશ સારવાર હેઠળ છે. મૃત ખેડૂતોના નામે બોગસ અંગૂઠા મારી ફોર્મ ભર્યા હતાંઓક્ટોબર-2025માં ભારે વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનના વળતર માટે સરકારે સહાયની જાહેરાત કરી હતી. ખજુરી હડમતીયા ગ્રામ પંચાયતના VCE જયેશ રામજીભાઈ ખંખાળીયાને આ સહાય માટેના ઓનલાઇન ફોર્મ ભરવાની જવાબદારી સોંપાઈ હતી. જોકે, તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, જયેશે કુલ 30 જેટલી અરજીઓમાં ગંભીર ગેરરીતિ આચરી હતી. જે ખેડૂતો વર્ષો પહેલા મૃત્યુ પામ્યા હતા, તેમના નામે બોગસ અંગૂઠા મારી ફોર્મ ભર્યા હતાં. આટલું જ નહીં, પોતાના પરિવારના સભ્યો અને પત્નીના આધારકાર્ડ એડિટ કરીને જોડી કુલ 9,49,370/- રૂપિયાની સરકારી રકમ હડપવાનો કારસો રચ્યો હતો. ગ્રામ સેવક અને TDOની તપાસમાં આ ભાંડો ફૂટતા ભેંસાણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. VCEએ ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યોપોલીસ ફરિયાદ નોંધાતા જ VCE જયેશ ખંખાળીયાએ આઘાતમાં આવી જઈ ફિનાઈલ પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 'મારા દીકરાને જાણી જોઈને ફસાવવામાં આવ્યો'જયેશના પિતા રામજીભાઈએ આક્ષેપ કર્યો છે કે, મારા દીકરાને જાણી જોઈને ફસાવવામાં આવ્યો છે. જે ખેડૂતોના ફોર્મ ભરવામાં નામ આવ્યા છે તેમાં જયેશનું નામ ખોટું લેવામાં આવ્યું છે. મારા દીકરાએ કોઈ ગેરરીતિ કરી નથી, જે કંઈ નાની-મોટી ભૂલ થઈ હતી તે તેણે સામેથી સુધારી પણ દીધી હતી. છતાં તેને હેરાન કરવા માટે આ પગલું ભરવા મજબૂર કરાયો છે. 'કામના ભારણ હેઠળ પતિથી ભૂલ થઈ ગઈ હતી'જયેશના પત્ની સપનાબેને પણ આ મામલે પોતાનો પક્ષ રાખતા જણાવ્યું કે, ખેડૂત સહાયના ફોર્મ વધારે હોવાથી કામના ભારણ હેઠળ પતિથી ભૂલ થઈ ગઈ હતી. આ ભૂલ તેમણે સુધારી પણ લીધી હતી છતાં ગામના અમુક લોકોએ ખોટા આક્ષેપો કરી પોલીસ ફરિયાદ કરાવી છે. મારા પતિ નિર્દોષ છે અને તેમને આ કાવતરામાં ફસાવવામાં આવ્યા છે. 'મૃતકોના નામે પણ પૈસા ખાવાનો ખેલ' બીજી તરફ, ખજુરી હડમતીયા ગામના સરપંચ છગનભાઈ પરમારે આ મામલે કડક વલણ અપનાવ્યું છે. તેમણે જણાવ્યું કે, જ્યારે ખેડૂતોને ખબર પડી કે તેમના નામે અન્ય કોઈ નાણાં ઉપાડી રહ્યું છે, ત્યારે ગ્રામજનોએ એકઠા થઈ TDOને રજૂઆત કરી હતી. તપાસમાં સાબિત થયું છે કે VCE દ્વારા મૃત્યુ પામેલા લોકોના નામે અને બીજાના આધારકાર્ડમાં છેડા કરી 9.50 લાખની ઉચાપત કરવાનો પ્રયાસ થયો હતો. 7/12 કોઈ બીજાના અને બેંક પાસબુક કોઈ બીજાની લગાડીને આ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું, જેની સામે કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. 'સરકારી તિજોરીમાંથી પૈસા ચૂકવાય તે પહેલા જ કૌભાંડ પકડાઈ ગયું' તાલુકા પંચાયત કચેરીના ગ્રામ સેવક કેયુરકુમાર પ્રવિણભાઈ કથિરીયાની સજાગતાને કારણે આ લાખોનું કૌભાંડ સરકારી તિજોરીમાંથી ચૂકવાય તે પહેલા જ પકડાઈ ગયું હતું. તપાસ સમિતિએ 20 જેટલા અરજદારોના રૂબરૂ નિવેદન લેતા જાણવા મળ્યું કે ઘણાએ તો અરજી જ કરી નહોતી. હાલ ભેંસાણ પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ તપાસ તેજ કરી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે શું આ કૌભાંડમાં VCE સિવાય અન્ય પણ સામેલ છે કે કેમ ? ભ્રષ્ટાચારના પુરાવાઓ સાથે ફરિયાદ નોંધાઈઆ ઘટનાએ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ચકચાર જગાવી છે. એક તરફ ભ્રષ્ટાચારના પુરાવાઓ સાથેની પોલીસ ફરિયાદ છે, તો બીજી તરફ પરિવાર તેને 'માનવીય ભૂલ' ગણાવીને ફસાવવામાં આવ્યા હોવાનો દાવો કરી રહ્યો છે. પોલીસ તપાસ બાદ જ સત્ય બહાર આવશે. આ પણ વાંચોજૂનાગઢમાં સહાયના નામે VCEએ લાખોનું કૌભાંડ આચર્યું:મૃતક ખેડૂતોના નામે ફોર્મ ભરી 9.49 લાખ હડપવાનો ખેલ રચ્યો, તપાસમાં 6 મૃતકો અને 12 ડબલ અરજીઓ મળતાં ભાંડો ફૂટ્યોજૂનાગઢના ભેંસાણ તાલુકાના ખજુરી હડમતીયા ગામે સરકારી ખેતી સહાયમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો પર્દાફાશ થયો છે, જેમાં ગ્રામ પંચાયતના VCE જયેશ ખંખાળીયાએ વર્ષો પહેલા મૃત્યુ પામેલા ખેડૂતો અને બોગસ આધારકાર્ડના આધારે આશરે 9.50 લાખ રૂપિયા હડપવાનું ષડયંત્ર રચ્યું હતું.(વાંચો સંપૂર્ણ સમાચાર)
ગુજરાત તથા વિશ્વભરમાં વસતા ગુજરાતી સમુદાય માટે અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ છે કે, ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના લિંબડીમાં જન્મેલા અને કેનેડામાં સ્થાયી થયેલા જાહેર આરોગ્ય નિષ્ણાત ડૉ. ચંદ્રકાન્ત પદમશી શાહને કેનેડાના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક ‘ઑર્ડર ઑફ કેનેડા’થી સન્માનિત કરવામાં આવ્યા છે. કેનેડાના ગવર્નર જનરલ મેરી સિમોન દ્વારા તા. 31 ડિસેમ્બર, 2025ના રોજ આ જાહેરાત કરવામાં આવી હતી. ‘ઑર્ડર ઑફ કેનેડા’ તેવા વ્યક્તિત્વોને આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે, જેમના યોગદાનથી અન્ય લોકોના જીવન સમૃદ્ધ બન્યાં હોય અને કેનેડાની પ્રગતિમાં તેમનો નોંધપાત્ર ફાળો હોય. આ સન્માન હેઠળ ત્રણ કૅટેગરી છે - મેમ્બર (MC) : કોઈ વિશિષ્ટ ક્ષેત્રમાં ઉત્તમ કાર્ય અથવા પ્રાદેશિક અસર માટે (લગભગ 70 ટકા પ્રાપ્તકર્તાઓ); ઑફિસર (OC) : કોઈ ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરની અસાધારણ અસર માટે (લગભગ 20–25 ટકા); તથા કમ્પેનિયન (CC): રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અસાધારણ અસર માટે (લગભગ 5–10 ટકા). ડૉ. શાહને ઑફિસર શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા છે, જેને ભારતના ‘પદ્મ ભૂષણ’ સન્માન સમકક્ષ માનવામાં આવે છે. વર્ષ 2025ની યાદીમાં કેનેડાના ગવર્નર જનરલે કુલ 80 વ્યક્તિઓને 'ઑર્ડર ઑફ કેનેડા'થી સન્માનિત કર્યા છે, જેમાં 6 કમ્પેનિયન, 15 ઑફિસર અને 59 મેમ્બરનો સમાવેશ થાય છે. 1967માં સ્થાપના પછી અત્યાર સુધી સમાજના વિવિધ ક્ષેત્રોમાંથી 8,250થી વધુ લોકોને આ સન્માનથી નવાજવામાં આવ્યા છે. ડૉ. ચંદ્રકાંત શાહ માટે જારી કરાયેલા પ્રશસ્તિ-પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, “યુનિવર્સિટી ઑફ ટોરોન્ટોના ડાલા લાના સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થના પ્રોફેસર એમેરિટસ તરીકે, ચંદ્રકાંત શાહે દેશવ્યાપી જનઆરોગ્ય શિક્ષણમાં પરિવર્તન આણ્યું અને તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન આરોગ્ય માટે સશક્ત પ્રયત્નો કર્યા છે. ડૉ. ચંદ્રકાંત શાહનો જન્મ 7 એપ્રિલ, 1936ના રોજ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના લિંબડીમાં થયો હતો. તેમનો ઉછેર અને શાળાકીય શિક્ષણ નંદુરબારમાં થયું. તેમણે 1961માં અમદાવાદમાં બી.જે. મેડિકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ.ની ડિગ્રી મેળવી અને 1962માં ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયા હતા. પછીથી તેઓ કેનેડામાં સ્થાયી થયા છે. તેમણે યુનિવર્સિટી ઑફ ટોરોન્ટો તેમજ હાર્વર્ડ યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કર્યો અને કેનેડામાં જનઆરોગ્ય નીતિ તથા શિક્ષણને નવી દિશા આપતી દીર્ઘ અને પ્રભાવશાળી કારકિર્દી ઘડી છે. યુનિવર્સિટી ઑફ ટોરોન્ટોના ડાલા લાના સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થમાં પ્રોફેસર એમેરિટસ રહેલા ડૉ. શાહ લિખિત પાઠ્યપુસ્તક Public Health and Preventive Medicine in Canada હાલમાં તેના છઠ્ઠા સંસ્કરણમાં છે અને વિવિધ આરોગ્ય વિષયોના સ્નાતક તથા સ્નાતકોત્તર વિદ્યાર્થીઓમાં વ્યાપક રીતે ઉપયોગમાં લેવાય છે. તેમને ઓર્ડર ઑફ ઓન્ટારિયો તેમજ 2007માં કાઉન્સિલ ઑફ ધ કોલેજ ઑફ ફિઝિશિયન્સ એન્ડ સર્જન્સ ઑફ ઓન્ટારિયો દ્વારા પ્રદાન કરાયેલ Outstanding Physicians of Ontario Award સહિત અનેક પ્રતિષ્ઠિત સન્માનો પ્રાપ્ત થયા છે. ઑર્ડર ઑફ કેનેડાનો અલંકરણ સમારોહ 19 માર્ચના રોજ કેનેડાની રાજધાની ઓટાવામાં સ્થિત રિડો હૉલ ખાતે યોજાશે. ડૉ. ચંદ્રકાંત શાહની 'ઑફિસર ઑફ ધ ઑર્ડર ઑફ કેનેડા' તરીકેની પસંદગી ગુજરાત માટે વિશેષ ગૌરવનો વિષય છે; આ સન્માન દેશના સીમાળાઓથી પર રાષ્ટ્રનિર્માણ, આરોગ્ય અને શૈક્ષણિક શ્રેષ્ઠતા પ્રત્યેના તેમના આજીવન સમર્પણનું વૈશ્વિક પ્રમાણ છે.
ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા દ્વારા કરાયેલી આંતરિક બદલીઓના પગલે વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નવનિયુક્ત પી.આઈ. એસ.એન. ગઢવીનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યારે વિદાયમાન પી.આઈ. એચ.આર. ગોસ્વામીને ભાવભીની વિદાય અપાઈ હતી. તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ પોલીસ અધિકારીઓની આંતરિક બદલીના આદેશ આપ્યા હતા. આ આદેશ મુજબ, વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.આર. ગોસ્વામીની બદલી પ્રભાસ પાટણ ખાતે કરવામાં આવી છે. તેમની જગ્યાએ તાલાલા પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.એન. ગઢવીને વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં નિયુક્ત કરાયા છે. વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધપાત્ર કામગીરી કરનાર પી.એસ.આઈ. ગોહિલને તાલાલા પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ પી.આઈ. તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. કાર્યક્રમમાં પી.એસ.આઈ. ગોહિલનું પણ અભિવાદન કરાયું હતું. આ બદલીઓના અનુસંધાને યોજાયેલા કાર્યક્રમમાં શહેરના હિન્દૂ-મુસ્લિમ સહિત વિવિધ સમાજોના આગેવાનો, રાજકીય અને સામાજિક આગેવાનો, સેવાકીય સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં આશરે પોણા બે વર્ષ સુધી ફરજ બજાવનાર પી.આઈ. એચ.આર. ગોસ્વામીની કાર્યશીલતા, શિસ્તબદ્ધ કામગીરી અને લોકઅભિમુખ પોલીસિંગને દરેક સમાજના આગેવાનો તથા સામાજિક સંસ્થાઓ દ્વારા બિરદાવવામાં આવી હતી. વિદાય સમારોહ દરમિયાન પી.આઈ. ગોસ્વામીએ પોતાના ફરજકાળ દરમિયાન પોલીસ સ્ટાફ, વિવિધ સમાજના આગેવાનો, સામાજિક સંસ્થાઓ અને પત્રકારોના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ સહકારના કારણે જ કાયદો-વ્યવસ્થાની સુચારુ જાળવણી શક્ય બની હતી. નવનિયુક્ત પી.આઈ. એસ.એન. ગઢવીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે તેઓ અગાઉ ગીર સોમનાથ જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)માં પી.આઈ. તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમણે શહેરની શાંતિ અને સલામતી જાળવવા કાયદો-વ્યવસ્થાના અમલમાં સમાજના આગેવાનોનો મહત્તમ સહકાર અપેક્ષિત હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો અને સેવાકીય સંસ્થાઓ દ્વારા ત્રણેય અધિકારીઓને મોમેન્ટો તથા પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. પોલીસ પરિવાર દ્વારા વિદાયમાન પી.આઈ. ગોસ્વામી તથા પી.એસ.આઈ. ગોહિલને શ્રીફળ અને શાલ અર્પણ કરીને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.
રેલ મુસાફરોને ડિજિટલ પેમેન્ટ દ્વારા અનારક્ષિત (Unreserved) ટિકિટ બુકિંગ માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે રેલવે બોર્ડ દ્વારા 'રેલવન' (RailOne) એપ પર ટિકિટ બુકિંગ પર ૩ ટકા લાભ આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્તમાનમાં રેલવન એપ પર આર-વોલેટ (R-Wallet) દ્વારા અનારક્ષિત ટિકિટ બુક કરવા પર મુસાફરોને 3 ટકા બોનસ કેશબેકની સુવિધા આપવામાં આવી રહી છે. આ સુવિધાને વધુ વ્યાપક બનાવતા રેલવે બોર્ડે નિર્ણય લીધો છે કે હવે આર-વોલેટ સિવાયના તમામ ડિજિટલ પેમેન્ટ માધ્યમો—જેમ કે UPI, ડેબિટ/ક્રેડિટ કાર્ડ વગેરે—દ્વારા રેલવન એપ પર ટિકિટ બુક કરવા પર મુસાફરોને ટિકિટના મૂલ્ય પર 3 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જોકે, આર-વોલેટ દ્વારા ટિકિટ બુકિંગની સ્થિતિમાં પહેલાની જેમ જ ૩ ટકા બોનસ કેશબેકની સુવિધા ચાલુ રહેશે. રેલવે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી આ 3 ટકા ડિસ્કાઉન્ટ/લાભ યોજના 14 જાન્યુઆરી 2026 થી 14 જુલાઈ 2026 સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન યોજનાની અસરનું ફીડબેકના આધારે મૂલ્યાંકન કરવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે. રેલવે બોર્ડની આ પહેલ મુસાફરોને ડિજિટલ પેમેન્ટ અપનાવવા માટે પ્રોત્સાહિત કરશે અને અનારક્ષિત ટિકિટ બુકિંગની પ્રક્રિયાને વધુ સરળ, ઝડપી, સુવિધાજનક અને પારદર્શક બનાવશે. ડિજિટલ માધ્યમોથી ટિકિટ બુક કરવા પર મુસાફરોને માત્ર સમયની બચત જ નહીં થાય, પરંતુ તેમને પ્રત્યક્ષ આર્થિક લાભ પણ મળશે.
ગુજરાત ભાજપ પ્રદેશ સંગઠનની રચના બાદ નવનિયુક્ત મહામંત્રી પ્રશાંત કોરાટે પ્રથમ વખત નવસારીની મુલાકાત લીધી હતી. તેમણે જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે કાર્યકર્તાઓ સાથે પરિચય બેઠક યોજી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠનને વધુ મજબૂત બનાવવાનો, તેનો વ્યાપ વધારવાનો અને કાર્યકર્તાઓની ગતિવિધિઓ અંગે ચર્ચા કરવાનો હતો. મંડળના પ્રમુખો અને જિલ્લાની ટીમ સાથે આગામી સમયમાં કેવી રીતે સાથે મળીને કામ કરી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે જણાવ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ તેમને દક્ષિણ ઝોનના પ્રભારી બનાવ્યા બાદ આ તેમની દક્ષિણ ઝોનની પ્રથમ મુલાકાત છે, જેની શરૂઆત નવસારી જિલ્લાથી થઈ છે. આ પ્રવાસમાં તેમની સાથે પ્રભારી જનકભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. કોરાટે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી માત્ર ચૂંટણીલક્ષી પક્ષ નથી, પરંતુ તેના કાર્યકર્તાઓ હંમેશા લોકોની વચ્ચે રહીને સમાજ સેવા કરે છે. તેમણે ઉમેર્યું કે આગામી જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ ભાજપ માટે એક ઉત્સવ સમાન છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જે રીતે ગુજરાતની જનતાએ અત્યાર સુધી ભાજપને ભરપૂર પ્રેમ આપ્યો છે, તે જ રીતે નવસારી જિલ્લાની જનતા પણ આગામી ચૂંટણીઓમાં પક્ષને સંપૂર્ણ સમર્થન આપશે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર પર હૂમલા મામલે આરોપી જયદીપ ચાવડાનું પોલીસ સમક્ષનું નિવેદન સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલ દાખલ નેપાળી યુવકને બ્લડ આપવા માટે ચિઠ્ઠી લખાવવા ગયો હતો ત્યારે ડો. પાર્થ પંડ્યાએ મા સામે ગાળો આપી હતી અને પેટના ભાગે તેની પાસે રહેલ પેન મારી હતી. જેથી મેં સામે વળતો પ્રહાર કર્યો હતો. શહેરની સિવિલ હોસ્પિટલમાં ગત તા.28 ડિસેમ્બરના રાત્રિના 1 વાગ્યા દરમિયાન દર્દીને બ્લડ ચઢાવવા બાબતે પરિચિતે ન્યૂરોસર્જન ડૉ. પાર્થ પંડ્યાને લાફા માર્યા હતા. ડોક્ટરને બેફામ માર માર્યાના CCTV સામે આવ્યા હતા જે ઘટના બાદ તબીબો દ્વારા હડતાલ પાડવામાં આવી હતી જોકે ગુરુવારે સાંજે પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા આરોપી જયદીપ ચાવડાની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તબીબોએ હડતાલ સમેટી લીધી હતી. જોકે આરોપી જયદીપ ચાવડાની ધરપકડ બાદ તેને પોલીસ સમક્ષ ડોક્ટર સામે આક્ષેપ કરતી કબૂલાત આપી હતી. જેમાં જણાવ્યુ હતુ કે, સિવિલ હોસ્પિટલ દાખલ નેપાળી યુવકને બ્લડ આપવા માટે નેપાળી પરિવાર ડોક્ટર પાસે ચિઠ્ઠી લખાવવા ગયો હતો. પરિવાર ડોક્ટર પાસે આજીજી કરતો હતો પરંતુ ડોક્ટર ચિઠ્ઠી લખી દેવા માટે તૈયાર ન હતા. જે બાદ મેં પણ ડોક્ટરને ચિઠ્ઠી લખી આપવા માટે કહ્યું હતું પરંતુ તેમના દ્વારા મારી સાથે ગાળાગાળી કરવામાં આવી અને પેન મારવામાં આવી. જેથી મેં વળતા પ્રહાર સ્વરૂપે માર માર્યો હતો. CCTV ચેક કરશો તો હું બ્લડ બેંકમાંથી આવેલ કાગળ લઈને લખાવવા જતો હોય તેવું દેખાય છે. જોકે હવે સિવિલ અધિક્ષક દ્વારા નીમવામાં આવેલ તપાસ સમિતિની તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહ્યુ.
મહાત્મા ગાંધીજી દ્વારા 1920માં સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં તા. 01 જાન્યુઆરી, 2026ના રોજ વસંત પંચમી સત્રના પહેલા દિવસે અને મહાદેવ દેસાઈની જન્મજયંતી નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગૂજરાત વિદ્યાપીઠના માનનીય કુલપતિ શ્રી ડૉ. હર્ષદભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવ–2025 અંતર્ગત મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કારથી સન્માનિત ભગવાનદાસ પટેલજીના પ્રતિભાવ લેવામાં આવ્યા હતા તથા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવ દરમિયાન અનુપસ્થિત રહેલા પત્રકારત્વ વિભાગ, કમ્પ્યુટર વિભાગ અને હિન્દી વિભાગના સ્નાતકો શ્રી રમેશ તન્ના, શ્રી ગોપી મણિયાર, શ્રી કલ્પેશ પરીખ અને શ્રી મફતભાઈ પટેલને સન્માનપત્ર અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સુવર્ણચંદ્રક દાતાઓ તરીકે દર્શનાબેન વ્યાસ, આરતીબેન પટેલ તથા રશ્મિકાબેન શાહનું સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમના માધ્યમથી મહાદેવ દેસાઈના જીવનદર્શન, સમાજસેવા પ્રત્યેની તેમની અડગ નિષ્ઠા તથા ગૂજરાત વિદ્યાપીઠની ગાંધિયન વિચારધારાને ઉજાગર કરવામાં આવી હતી.
રાજ્યમાં નવા વર્ષની શરૂઆત સાથે જ હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ગઈકાલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો, ત્યારે આજે પણ હવામાન વિભાગે રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડવાની આગાહી કરી છે. આગામી સપ્તાહ દરમિયાન તાપમાનમાં ઘટાડો અને ઠંડીમાં વધારો થવાની શક્યતા છે, જેના કારણે કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે. આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની વકીહવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે જાહેર કરાયેલી આગાહી મુજબ, આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં ઠંડીનું જોર વધશે. વિભાગના જણાવ્યા અનુસાર આજથી રાજ્યભરમાં ઠંડી વધુ અનુભવાશે. ઠંડીનો પારો ગગડવાની શક્યતાગઈકાલે રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં 3થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો હતો. જોકે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થતાં ઠંડીમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ ગઈકાલના વરસાદી માહોલ બાદ હવે ફરી એકવાર ઠંડીનો પારો ગગડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છેઆજે એટલે કે, 2 જાન્યુઆરીના રોજ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં તેમજ દમણ, દાદરા અને નગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. સાથે જ આગામી 48 કલાક દરમિયાન રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધુ ઘટાડો થવાની આગાહી પણ કરવામાં આવી છે.
જામનગરમાં જુમ્મા મસ્જિદ ચોરીનો ભેદ ઉકેલાયો:પોલીસે એક આરોપીને ₹75,000 રોકડ સાથે ઝડપ્યો
જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલી જુમ્મા મસ્જિદની ઓફિસમાંથી ગત તા. 16 નવેમ્બર, 2025ની રાત્રિના ₹75,000ની રોકડ રકમની ચોરી થઈ હતી. પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને એક આરોપીની અટકાયત કરી તેની પાસેથી ચોરાયેલી સંપૂર્ણ રકમ કબજે કરી છે. જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે તપાસ હાથ ધરી હતી. મસ્જિદ ટ્રસ્ટની મુખ્ય ઓફિસના કબાટમાંથી થયેલી આ ચોરી અંગે પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે કાર્યવાહી કરી હતી. પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે, નૂરી ચોકડી, અન્નપૂર્ણા મંદિરના ગેટ સામે રોડ પરથી આરોપી મોહમ્મદહુસેન મોહમ્મદમુતકા સિદ્દીકી (ઉંમર 43, રહે. નાગપુર વોરાની ચાલી, રાજપુર, ગોમતીપુર, અમદાવાદ)ને પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે તેની પાસેથી ચોરી થયેલા ₹75,000 રોકડા કબજે કર્યા હતા.
તાપીમાં શેરડી કાપણી, દીપડાની મેટિંગ સીઝન:વન વિભાગે ગ્રામ્ય વિસ્તારોમાં જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું
તાપી જિલ્લો દક્ષિણ ગુજરાતમાં દીપડાના હબ તરીકે ઓળખાય છે. હાલ જિલ્લામાં શેરડી કાપણીની મોસમ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે દીપડા જેવા હિંસક વન્યપ્રાણીઓ અને માનવ વસ્તી વચ્ચે સંઘર્ષની શક્યતાઓ વધી છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને, તાપી વન વિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સામાન્ય રીતે, દીપડાઓ શેરડીના ઊભા પાકમાં સુરક્ષિત વસવાટ કરતા હોય છે. પરંતુ કાપણી દરમિયાન તેમના આશ્રયસ્થાનો દૂર થતાં તેઓ શિકાર અને સલામતીની શોધમાં માનવ વસ્તી તરફ પ્રયાણ કરે છે. વિશેષમાં, શિયાળાનો વર્તમાન સમય દીપડાઓ માટે 'મેટિંગ સીઝન' હોવાથી તેઓ સ્વભાવે વધુ આક્રમક બની શકે છે. આ બેવડી પરિસ્થિતિને કારણે ખેડૂતો અને ખેતમજૂરો પર જોખમ વધી જાય છે. આ સંભવિત સંઘર્ષને નિવારવા વન વિભાગે કમર કસી છે. જે વિસ્તારોમાં દીપડાની વસ્તી કે અવરજવર વધુ છે, તેવા ગામોમાં આવેલી શાળાઓ, દૂધ ડેરીઓ, ગ્રામ પંચાયતો અને જાહેર સ્થળો પર ખાસ જાગૃતિ બેનરો લગાવવામાં આવ્યા છે. વન વિભાગની ટીમો દ્વારા સેમિનાર યોજીને ગ્રામજનોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે કે વહેલી સવારે કે રાત્રે ખેતરમાં જતી વખતે શું સાવચેતી રાખવી અને નાના બાળકોનું ધ્યાન કેવી રીતે રાખવું. તંત્ર દ્વારા લોકોને ભયભીત થવાને બદલે સતર્ક રહેવા અને દીપડો દેખાય તો તુરંત વન વિભાગનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
નવા વર્ષની ઉજવણીના ઉત્સાહ વચ્ચે સુરતના પોશ ગણાતા વેસુ વીઆઈપી રોડ પર નબીરાઓની જોખમી રેસિંગે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. મોંઘીદાટ લક્ઝરી કારો લઈને નીકળેલા બે નબીરાઓએ પુરપાટ ઝડપે રેસ લગાવતા એક ભયાનક અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માત એટલો જોરદાર હતો કે તેમાં સામેલ ત્રણેય કારોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ત્રણ જેટલા લાઈટ પોલ જડમૂળથી ઉખડી ગયા હતા. વેસુ પોલીસે આ મામલે એક કાપડ વેપારી નબીરાની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક ચાલક ફરાર થઈ ગયો છે. 150 કિમીની સ્પીડે ડેડલી રેસમળતી માહિતી મુજબ, ન્યૂ યરની રાત્રે બે નબીરાઓ પોતાની લક્ઝરી કાર્સ- મહિન્દ્રા BE-6 (ઈલેક્ટ્રિક) અને BMW લઈને રસ્તા પર રેસિંગ કરી રહ્યા હતા. વેસુ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે અકસ્માત સમયે બંને કારોની સ્પીડ 150 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુ હતી. આ બેફામ ગતિએ દોડતી કારોએ રસ્તા પરથી પસાર થઈ રહેલી સ્વીફ્ટ કાર (નંબર: GJ 05 CR 2068) ને જોરદાર ટક્કર મારી હતી. કારના ફૂરચેફૂરચાઅકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે જોતા જ હૃદય ધ્રૂજી ઉઠે. ટક્કર લાગતાની સાથે જ સ્વીફ્ટ કાર ચલાવી રહેલી મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. કારને આગળથી લઈ પાછળ સુધી મોટું નુકસાન થયું હતું અને કાચના ટુકડા રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા. 3 વીજપોલ જમીનદોસ્તBMW કારમાં એરબેગ સમયસર ખુલી જતાં તેના ચાલકનો બચાવ થયો હતો, પરંતુ લક્ઝરી કારોના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.પુરપાટ ઝડપે જતી કારો રસ્તાની બાજુમાં આવેલા ડિવાઈડર અને લાઈટ પોલ સાથે અથડાઈ હતી, જેના કારણે મનપાના ત્રણ પોલ ઉખડીને જમીનદોસ્ત થઈ ગયા હતા. કાપડ વેપારીની ધરપકડસમગ્ર મામલે વેસુ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત સર્જનાર મહિન્દ્રા BE-6 કારના ચાલક મંથન પટેલ નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મંથન પટેલ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલો નબીરો છે. જ્યારે તેની સાથે રેસ લગાવી રહેલો અન્ય કારનો ચાલક અકસ્માત બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો છે, જેની શોધખોળ અત્યારે તેજ કરવામાં આવી છે.
પાટીદાર સમાજની 17 વર્ષીય સગીરા અપહરણ થયાની ફરિયાદને આજે 35 દિવસ વિતી ગયા હોવા છતાં પોલીસ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી ન કરવામાં આવતાં સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ મામલે પાટીદાર સેવા સંઘ દ્વારા ગુરુવારે તિરુપતિ સોસાયટીની વાડી ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગ પૂર્ણ થયા બાદ ભેગા થયેલા પાટીદાર સમાજના લોકોએ સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. 35 દિવસથી દીકરી પરિવારથી અલગ છે, ત્યારે દીકરીના ભાઈએ સમાજ પાસે મદદની અપીલ કરી હતી. સગીરા કાકા સાથે સુરતમાં રહેતી હતીમળતી માહિતી મુજબ, ગુમ થયેલી દીકરીનાં માતા-પિતા ગામડે રહે છે અને સુરતમાં તે પોતાના કાકા સાથે રહેતી હતી. સમાજ દ્વારા દીકરીને વહેલી તકે શોધી લાવવા માટે ગૃહ વિભાગમાં રજૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ આરોપીને ઝડપથી પકડી તેના સામે વિશેષ ગુનો દાખલ કરવાની માગ ઊઠી છે. પોલીસે યોગ્ય કાર્યવાહી ન કર્યાનો આક્ષેપસમાજના આગેવાનોનો આક્ષેપ છે કે, આરોપીનો ફોન પાંચ દિવસ સુધી ચાલુ હતો અને તેનું લોકેશન પણ ઉપલબ્ધ હતું, તેમ છતાં પોલીસે ગફલત દાખવી, જેના કારણે કોઈ પરિણામ મળ્યું નથી. આ મામલે જવાબદાર પોલીસ અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માગ કરવામાં આવી છે. સમાજમાં વ્યાપતા સામાજિક દૂષણો ખતમ કરવા એક થવા અપીલસૌરાષ્ટ્રના એક ગામડામાં રહેતા દીકરીના પરિવારને આર્થિક સહાય માટે સમાજ દ્વારા બાંયધરી આપવામાં આવી છે. મિટિંગમાં હાજર રહેલા તમામ લોકો સરથાણા પોલીસ સ્ટેશન પહોંચી જવાબ માંગ્યા હતા. સાથે જ સમાજમાં વ્યાપતા સામાજિક દૂષણો ખતમ થાય અને યુવાનો જાગૃત બને તેવી અપીલ પણ કરવામાં આવી હતી. આરોપીની શોધખોળ ચાલુ હોવાનું PIનું રટણમોટી સંખ્યામાં લોકો સરથાણા પોલીસ સ્ટેશન પહોંચતા પીઆઇ બી. બી. કરપડા દોડી આવ્યા હતા, જેને પણ ઘેરી લેવામાં આવ્યા હતા. ચારે તરફથી સવાલોનો મારો શરૂ કરવામાં આવ્યો હતો. પીઆઇએ પણ એક જ રટણ ચાલુ રાખ્યું હતું કે, આ મારી ટીમ શોધખોળ કરી રહી છે. જોકે આરોપી ખૂબ જ સાતિર હોવાથી પકડમાં ન આવતો હોવાની પણ પીઆઇ કરપડાએ કબુલાત કરી હતી. પોલીસની કામગારી સામે પાટીદાર સમાજે સવાલો ઉઠાવ્યાંપાટીદાર સમાજની 17 વર્ષીય સગીરાનુ અપહરણ થયાને 35 દિવસ થયા છતાં પણ હજુ સુધી કોઈ પણ પત્તો લાગ્યો નથી. સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઇની કાર્યવાહી સામે પાટીદાર સમાજ દ્વારા સવાલો કરવામાં આવી રહ્યા છે. જ્યારે આ બાબતે અપરણ જેવી ઘટના હોવા છતાં પણ તાત્કાલિક કાર્યવાહી ન થઈ હોવાના કારણે સુરત પોલીસ કમિશનરે સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઇ બી. બી. કરપડાનો ઉધડો લીધો હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે.
સાબરકાંઠા જિલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે પોષી પૂનમ, એટલે કે 3 જાન્યુઆરી, 2026ના રોજ અંબિકા માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવશે. આ દિવસે મંગળા આરતીથી લઈને સંધ્યા આરતી સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 56 ભોગ અન્નકૂટ, કેક કટિંગ, મંદિર પરિસરમાં શોભાયાત્રા અને રાત્રે ગરબાનો સમાવેશ થાય છે. દર્શનાર્થીઓ માટે મંદિર સવારે 6:30થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. મહોત્સવને લઈને મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે અને ફૂલોથી પણ સુશોભિત કરાશે. અંબિકા માતાજી મંદિરના મેનેજર દિલીપસિંહ કુંપાવતે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આદ્યશક્તિ માતાજીના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે સવારે 6:30 કલાકે મંગળા આરતી કરવામાં આવશે. ત્યારબાદ માતાજીને 56 ભોગનો ભવ્ય અન્નકૂટ અર્પણ કરાશે. સવારે 8 કલાકે આરતી મંડળ દ્વારા 25 કિલોની કેક કાપવામાં આવશે. આ પછી શરણાઈના સુમધુર સૂર સાથે મંદિર પરિસરમાં માતાજીની શોભાયાત્રા નીકળશે. સાંજે 7 કલાકે સંધ્યા આરતી બાદ આરતી મંડળ દ્વારા 51 કિલોની બીજી કેક કાપવામાં આવશે. રાત્રે 8 કલાકે માતાજીના ચાચર ચોકમાં ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે. આ ઉપરાંત, હિંમતનગરના સ્ટેશન રોડ પર આવેલા અંબાજી માતાજીના મંદિરે પણ પોષી પૂનમના દિવસે 63મો પાટોત્સવ ઉજવવામાં આવશે. મંદિરના મહારાજ સિદ્ધાર્થ વ્યાસે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ નિમિત્તે સવારે દેવીયજ્ઞનું આયોજન કરાશે. માતાજીને ભવ્ય અન્નકૂટ અર્પણ કરવામાં આવશે અને સાંજે આરતી બાદ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે.
સુરત શહેરમાં વિદ્યાર્થીઓના આપઘાતના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે ફરી એકવાર ડીંડોલી વિસ્તારમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. જ્યારે પરિવારના સભ્યો ઘરમાં નિદ્રાધીન હતા, ત્યારે આ વિદ્યાર્થીનીએ અચાનક અંતિમ પગલું ભરી લેતા સમગ્ર પરિવાર ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, જેના લીધે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. ઘટનાની જાણ થતા જ ડીંડોલી પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને વિદ્યાર્થીનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી, આશાસ્પદ વિદ્યાર્થિનીએ કયા સંજોગોમાં આપઘાત કર્યો તે જાણવા માટે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ....
BMC ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો, સેંકડો કાર્યકરો સાથે બે નેતાના પાર્ટીને 'રામ-રામ', ભાજપમાં જોડાયા
BMC Election 2026: મુંબઈ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ઉત્તર મુંબઈના મલાડ વિભાગમાં કોંગ્રેસના બે મહત્ત્વના હોદ્દેદારોએ પાર્ટીને અલવિદા કહીને ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસના ઉત્તર મુંબઈ જિલ્લા મહાસચિવ અરવિંદ કાડ્રોસ અને ઝૂંપડપટ્ટી પુનર્વસન સેલના પ્રમુખ મુરુગન પિલ્લઈ શુક્રવારે વિધિવત રીતે ભાજપમાં સામેલ થઈ ગયા છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલની હાજરીમાં પક્ષ પલટો કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના નેતૃત્વમાં શુક્રવારે, 2 જાન્યુઆરીના રોજ આ બંને નેતાઓએ વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે.
ભરૂચ તાલુકાના નંદેલાવ ગામમાં આશરે ₹46 લાખના ખર્ચે માર્ગ નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ભોલાવ જિલ્લા પંચાયત હેઠળ આવતા આ ગામમાં તીનબત્તીથી પ્રાથમિક શાળા સુધીનો માર્ગ તેમજ વડફળિયાથી આદિવાસી વિસ્તારને જોડતો માર્ગ નવીનીકરણ કરાશે. આ વિકાસકાર્યના ખાતમુહૂર્ત પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મી ચૌહાણ અને ઉપસરપંચ સંજય સોલંકી,માજી સરપંચ રતિલાલ ચૌહાણ સહિત પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નવીનીકરણ બાદ આ માર્ગો સુવિધાજનક બનતા ગામના વિકાસમાં નોંધપાત્ર વધારો થશે અને સ્થાનિક લોકોને અવરજવરમાં રાહત મળશે. મહેમાનોએ વિકાસકાર્યો પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને ગામના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયાસો કરવાનું આશ્વાસન આપ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
વડોદરા શહેરમાં નવીન ડ્રેનેજ લાઇન અને વરસાદી ગટર (બોક્સ કલ્વર્ટ) નાખવાની કામગીરીને કારણે શહેરના ભાયલી વિસ્તાર સહિતના અનેક મુખ્ય માર્ગો પર આંશિક કે સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કામગીરી દરમિયાન હેવી મશીનરી, મજૂરોની અવર-જવર અને મટિરિયલ સ્ટોરેજને કારણે આ રસ્તાઓ પર જવા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. મહાનગરપાલિકા તંત્ર દ્વારા જાહેર જનતાને સુરક્ષા જાળવી રાખવા અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. SWC સર્કલથી ભાયલી ગામ તરફનો રસ્તો બંધSWC સર્કલથી ભાયલી ગામ થઈ લલીતા પાર્ટી પ્લોટ તરફના માર્ગ પર ડ્રેનેજ લાઇનના કામ માટે ભાયલી સ્મશાનથી ભાયલી ગામ થઈ લલીતા પાર્ટી પ્લોટ થઈ ભાયલી સ્ટેશન રોડ પર સોલાસીસ-2 સુધીના રસ્તાની ડાબી બાજુના કેરેજવે પર તમામ વાહનો માટે પ્રતિબંધ લાગુ કરાયો છે. કામ પૂર્ણ થાય ત્યાં સુધી આ ભાગ બંધ રહેશે. જાહેર જનતાને વધુ ઊંડા ખાડાને કારણે પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ ન કરવા અને સુરક્ષિત અંતર જાળવવા સૂચના આપવામાં આવી છે. મનિષા સર્કલથી રાણેશ્વર મંદિર ચાર રસ્તા તરફનો રસ્તો બંધવાસણા રોડ પર રાણેશ્વર મંદિરથી મનિષા સર્કલ સુધીના ભાગમાં ડ્રેનેજ કામગીરી ચાલુ છે. મનિષા સર્કલથી રાણેશ્વર મંદિર ચાર રસ્તા તરફ આદિત્ય કોમ્પ્લેક્સ સુધીના રસ્તાની ડાબી બાજુના કેરેજવે પર વાહન વ્યવહાર બંધ રાખવામાં આવ્યો છે. વાહનચાલકો જમણી બાજુના કેરેજવે તેમજ અન્ય વૈકલ્પિક માર્ગોનો સાવચેતી પૂર્વક ઉપયોગ કરી શકશે. ચકલી સર્કલથી રિલાયન્સ મોલ સુધીનો ડાબી બાજુનો રસ્તો બંધનટુભાઈ સર્કલથી પશાભાઈ પાર્ક થઈ ચકલી સર્કલ સુધીના માર્ગ પર પણ ડ્રેનેજ લાઇનનું કામ ચાલુ છે. ચકલી સર્કલથી પશાભાઈ પાર્ક થઈ નટુભાઈ સર્કલ પાસેના રિલાયન્સ મોલ સુધીના રસ્તાની ડાબી બાજુના કેરેજવે પર વાહનો માટે પ્રતિબંધ છે. જમણી બાજુનો કેરેજવે અને અન્ય વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા જણાવાયું છે. વાઘોડિયા જંકશન 10 દિવસ સુધી સંપૂર્ણપણે બંધ રહેશેશહેરના ગોલ્ડન જંકશન, આજવા જંકશન, કપુરાઈ જંકશન, વાઘોડિયા જંકશન અને તરસાલી જંકશન પર નવા બોક્સ કલ્વર્ટનું કામ હાથ ધરાયું છે. હાલના તબક્કામાં વાઘોડિયા જંકશન 3 જાન્યુઆરી, 2026થી આગામી 10 દિવસ સુધી તમામ પ્રકારના વાહનો તેમજ પદયાત્રીઓ માટે સંપૂર્ણપણે બંધ રહેશે. અન્ય જંકશનો પર તબક્કાવાર કામગીરી કરવામાં આવશે. વાહનચાલકોએ પાસે રહેલા વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો પડશે. વડોદરા મહાનગરપાલિકા તંત્રએ જાહેર જનતાને આ નોટિસનું પાલન કરવા તેમજ કામગીરીમાં સહકાર આપવા નમ્ર વિનંતી કરી છે.
નવસારીમાં રખડતા ઢોર ઘરમાં ઘૂસતા નાસભાગ:પરિવાર બહાર દોડી ગયો, મહામહેનતે ઢોરને બહાર કઢાયા
નવસારી શહેરમાં રખડતા ઢોરની સમસ્યા હવે ઘરો સુધી પહોંચી છે. ગૌરીશંકર મોહલ્લામાં મોડી સાંજે એક આખલો અને ગાય પતરાવાળા એક ઘરમાં ઘૂસી ગયા હતા, જેના કારણે ઘરમાં નાસભાગ મચી ગઈ હતી. સુનીતાબેનના ઘરમાં આ ઘટના બની હતી. ઢોર ઘરમાં પ્રવેશતા જ પરિવારના સભ્યો ભયભીત બનીને ઘરની બહાર દોડી ગયા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પરિવારના સભ્યો અને આસપાસના લોકોએ મહા મહેનતે ગાય અને આખલાને ઘરની બહાર કાઢ્યા હતા. આ ઘટનાથી શહેરીજનોમાં રખડતા ઢોર પ્રત્યેનો ભય વધુ વધ્યો છે. નવસારી શહેરમાં છેલ્લા લાંબા સમયથી રખડતા ઢોરને કારણે અનેક અકસ્માતો સર્જાયા છે, જેમાં કેટલાક લોકોના મોત પણ થયા છે અને ઘણા ઇજાગ્રસ્ત થયા છે. રસ્તાઓ પર ચાલતા રાહદારીઓ અને વાહનચાલકો પણ સતત ભયભીત રહે છે. શહેરમાં રખડતા ઢોરને પકડવાની મહાનગરપાલિકાની કામગીરી સામે લોકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. શહેરીજનો દ્વારા આ સમસ્યાના કાયમી નિરાકરણની માંગ કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકા અવારનવાર ઢોરોને પકડીને પાંજરાપોળમાં પૂરે છે પરંતુ ફરીવાર ઢોર રસ્તે દેખાય છે પાંજરાપોળમાં પણ ઢોરોની સંખ્યા વધી જતા ત્યાં પણ જગ્યા ન રહેતા મહાનગરપાલિકા હવે જલાલપોર તાલુકામાં નવા પાંજરાપોળ ની વ્યવસ્થા કરવામાં લાગી છે.
ઐતિહાસિક કડાકા બાદ જોરદાર રિકવરી, ચાંદી ₹5,200થી વધુ ઉછળી, સોનું પણ મજબૂત
Gold and Silver Price : મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના-ચાંદીના બજારમાં ભારે ઉથલપાથલ બાદ આજે શાનદાર રિકવરી જોવા મળી રહી છે. અગાઉના ટ્રેડિંગ સત્રમાં આવેલા મોટા કડાકા બાદ નીચલા સ્તરેથી રોકાણકારોની ખરીદી નીકળતા સોના અને ચાંદી બંનેના ભાવમાં મજબૂત ઉછાળો નોંધાયો છે. ચાંદીમાં શાનદાર રિકવરી અગાઉના સત્રમાં મોટા ઘટાડા બાદ ચાંદીના ભાવમાં આજે જોરદાર તેજી જોવા મળી છે.
અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં કલ્યાણ જ્વેલર્સની પાછળના ભાગે આવેલી વર્ધમાન ડેવલોપર્સની નવી બનતી વર્ધમાન પેરેડાઇઝ નામની કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર કામ કરતા મજૂરો નીચે પડ્યા હતા. જેમાં બે મજૂરોના ઘટનાસ્થળે મૃત્યુ થયા હતા. કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર મજૂરોના મૃત્યુની ગંભીર દુર્ઘટનાને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે વર્ધમાન ડેવલોપર્સની રજા ચિઠ્ઠી સ્થગિત કરી બાંધકામ બંધ કરાવી દીધું છે. સાથે જ એન્જિનિયર, સ્ટ્રક્ચરલ એન્જિનિયર અને ડેવલોપરને નોટિસ આપી છે. વર્ધમાન ડેવલપર્સે ગંભીર બેદરકારી દાખવતા કાર્યવાહી કરાઈ છે. આંબાવાડીમાં વર્ધમાન પેરેડાઇઝ સાઇટ પર અકસ્માતશહેરના આંબાવાડી વિસ્તારમાં કલ્યાણ જ્વેલર્સ પાછળ વર્ધમાન ડેવલપર્સની વર્ધમાન પેરેડાઇઝ નામની 3-4 BHKની રહેણાંક બિલ્ડિંગની કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી છે. બાંધકામની આ સ્કીમમાં સવારે 10થી 11 વાગ્યાની વચ્ચે મજૂરો પ્લાસ્ટર કરવાનું કામ કરી રહ્યા હતા. મજૂરો કામ કરતા હતા ત્યારે ઉપરથી 3 મજૂરો નીચે પડ્યાચોથા માળે પાલક ઉપર મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ ઉપરથી ત્રણ જેટલા મજૂરો નીચે પડ્યા હતા. જેમાં બે મજૂરોના ઘટનાસ્થળ પર જ મૃત્યુ થઈ ગયા હતા જ્યારે એક મજૂરને ગંભીર રીતે ઇજા થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. આ મામલે પોલીસને જાણ કરતા એલિસબ્રિજ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. પરિવારજનો રાજસ્થાનથી આવવા રવાનાબંને મૃતક રાજસ્થાનના ઉદયપુર અને ડુંગરપુર જિલ્લાના છે. મૃતકના નામ શાંતિલાલ માનત અને દેવીલાલ ભીલ હોવાનું જાણવા મળ્યું છે. બંનેના પરિવારજનોને જાણ કરવામાં આવતા તેઓ પણ અમદાવાદ આવવા રવાના થયા હતા. એલિસબ્રીજ પોલીસે આ મામલે અકસ્માત મોત નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સેફ્ટી વગર મજૂરો કામ કરતા હતાકન્સ્ટ્રક્શન સાઈટ ઉપર કામગીરી માટે મજૂરોને સેફટીના સાધનો આપીને તેમની પાસે કામગીરી કરાવવાની હોય છે ત્યારે સાઇટ પર ડેવલોપર દ્વારા આવી કોઈ સેફ્ટી સાથે કામ કરાવાતું નહોતું. બાંધકામ પ્રવૃત્તિ દરમિયાન સલામતીના યોગ્ય પગલાં લીધા નહોતાનવી બનતી કન્સ્ટ્રકશન સાઈડ ઉપર બે મજૂરોના મોત મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવી હતી. વર્ધમાન ડેવલપર્સની વર્ધમાન પેરેડાઇઝ નામની બાંધકામ સાઈટ પર બાંધકામની પ્રવૃત્તિ દરમિયાન સલામતીના યોગ્ય પગલાં લેવામાં આવ્યા નહોતા. એન્જિનિયર, સ્ટ્રકચરલ એન્જિનિયર,ડેવલપર નોટિસ આપી ખુલાસો માંગ્યોબાંધકામ કરનાર-કરાવનાર દ્વારા ગંભીર બેદરકારી દાખવી હતી જેથી બાંધકામની રજા ચિઠ્ઠી સ્થગિત કરી દેવાઈ હતી. બાંધકામને સંપૂર્ણપણે બંધ કરાવવામાં આવ્યું છે. બાંધકામ સાઈટ પરના એન્જિનિયર, સ્ટ્રકચરલ એન્જિનિયર અને ડેવલપર તમામને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો છે.
વડોદરામાં પ્રેમ સંબંધની કરુણ ઘટના સામે આવી છે. જેની સાથે જિંદગી જીવવા માગતો હતો તે જ યુવતીએ તેને મોતને ઘાટ ઉતારી દીધો છે. રેલવેમાં નોકરી કરતી યુવતી અને યુવક બંને પ્રેમમાં પડે છે અને સગાઈ બાદ યુવતી પોતાની સાથે યુવકને રાખે છે. 29 ડિસેમ્બરના રોજ યુવતીએ ઊંઘમાં જ પોતાના દુપટ્ટા વડે મંગેતરનું કાસળ કાઢી નાખ્યું હતું. આ બનાવમાં જાણે યુવતીએ કઈ કર્યું જ ન હોય તેમ પોલીસને ત્રણ દિવસ સુધી ગોળ-ગોળ ફેરવી હતી, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટે આવતા જ આ કરૂણ ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો. હાલ સમગ્ર મામલે મકરપુરા પોલીસે યુવતી સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે. યુવક સગાઈ બાદ યુવતી સાથે રહેવા આવી ગયો હતોછોટા ઉદેપુરના રોઝકુવા ગામનો 23 વર્ષીય યુવક સચિન ગણપતભાઈ રાઠવા અને રેલવેમાં નોકરી કરતી રેખા સકુભાઈ રાઠવા વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો. આ સંબંધ બાદ બંન્નેની સગાઈ પણ કરી દેવામાં આવી હતી. રેખા વડોદરાના પ્રતાપનગર રેલવે કોલોનીમાં રહેતી હોવાથી તે સચિન પણ પ્રેમિકા રેખા સાથે રહેવા આવી ગયો હતો. બન્ને ઘણા સમયથી સાથે જ રહેતાં હતાં. આ વચ્ચે રેખાને અન્ય સાથે સંબંધ હોવાની સચિનને આશંકા હતી. જેમાં 29 ડિસેમ્બરે સચિન અને રેખા વચ્ચે થયેલા વિવાદમાં રેખાએ સચિનને લગ્ન કરવાની ના પાડી હતી. ત્યારે સચિને ફોન કરીને આ બાબતની પિતાને પણ જાણ કરી હતી કે તેને આ લગ્ન નથી કરવા. 29 ડિસેમ્બરે સચિનનું સંદિગ્ધ રીતે મોત થયું હતુંજે બાદ સચિન ઊંઘેલો હતો, તે દરમિયાન જ રેખાએ પોતાના દુપટ્ટા વડે સચિનનું ગળું દબાવીને હત્યા કરી હતી. જે બાદ જાણે તેણીએ કઈ કર્યું જ ન હોય તેમ મૌન રહી સચિન ઊંઘમાંથી ઊઠતો ન હોવાની વાત બધાને કરી હતી. બાદમાં સચિનને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે, હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બાદમાં સચિનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. સચિનના સંદિગ્ધ મોતને પગલે પિતા ગણપતભાઈને મંગેતર રેખા સકુભાઈ રાઠવા પર આશંક જાય છે, કારણ કે એકનો એક નવજુવાન દીકરો ઊંઘમાં કેવી રીતે મોતને ભેટે તે એક સવાલ પિતાના મનમાં ચાલતો હતો. પીએમ રિપોર્ટમાં ગળાના ભાગે નિશાન મળી આવ્યાંબાદમાં સચિનનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા તેના ગાળાના ભાગે નિશાન મળી આવ્યાં હતાં, જેથી પોલીસ શંકા ગઈ કે તેને ગળેફાંસો આપવામાં આવ્યો છે. આ ઘટનામાં પોલીસે ઉલટ તપાસ હાથ ધરી હતી. જો કે, આ હત્યા કરનાર પ્રેમિકાએ પોલીસને ત્રણ દિવસ સુધી ગોળ-ગોળ ફેરવી હતી. બાદમાં તેણે હત્યા કરી હોવાનું કબૂલ્યું છે. હાલમાં આ મામલે મકરપુરા પોલીસે યુવતી સામે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. યુવતી ગેટ ખોલી આવી ને કહી રહી હતી કે સચિન જાગી નથી રહ્યોઃ દિપકકુમારઆ બનાવ અંગે રેલવે કોલોનીમાં રેખાની બાજુમાં રહેતા દિપકકુમાર શાહે જણાવ્યું હતું કે, આ 29 તારીખની ઘટના છે. અમે CHC સેન્ટર પર ગયા હતા અને પરત આવ્યા, ત્યારે તે યુવતી ગેટ ખોલીને આવી અને કહી રહી હતી કે સચિન જાગી નથી રહ્યો. અમે પણ ત્યાં પહોંચ્યા હતા. યુવતી રડી રહી હતી અને યુવકને અમે જગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવક ઉઠી રહ્યો નહોતો. અમને ખબર પડી ગઈ હતી કે, આ મારી ગયો છે. બાદમાં અમે એમ્બ્યુલન્સ બોલાવી અને ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ ગયા હતા. ‘બંને સાથે આવતા-જતા હતા અને કપડા પણ સાથે સૂકવવા જતા હતા’ વધુમાં કહ્યું કે, આ યુવક-યુવતી સાથે રહેતા હતા અને આ યુવક ડ્રાઇવિંગ કરતો હતો. તે કોઈ સાહેબની ગાડી ચલાવતો હતી. અમે આવ્યા પછી બે-ત્રણ મહિના પછી આવ્યા હતા. અમને ક્યારેય એવું નથી લાગ્યું કે, આ યુવક કે યુવતી આવું કરશે. બંને સાથે આવતા-જતા હતા. કપડા પણ સાથે સૂકવવા જતા હતા અને સાથે નોકરીએ જતા હતા. તેઓ કોઈની સામે ઝઘડો કરતા ન હતા. સચિનના પિતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીસચિનના પિતા ગણપતભાઈ રાઠવાની ફરિયાદ મુજબ, છોટાઉદેપુર જિલ્લાના રોઝકુવા ગામના રહેવાસી સચિન 2023થી રેખા સાથે પ્રેમસંબંધમાં હતો. મે, 2025માં બંનેની સગાઈ થઈ હતી અને આવતા માર્ચમાં લગ્ન નક્કી થયા હતા. રેખા રેલવેમાં નોકરી કરતી હોવાથી બંને વડોદરાના રેલવે ક્વાર્ટર્સમાં સાથે રહેતા હતા. સચિનને રેખાના અન્ય કોઈ યુવક સાથે સંબંધની શંકા હતી અને તે અંગે વારંવાર ઝઘડા થતાં. ગત 29 ડિસેમ્બર, 2025ના બપોરે સચિને મને ફોન કરી કહ્યું કે, રેખા લગ્ન કરવા ના પાડે છે અને તેને હેરાન કરે છે. થોડી વાર પછી રેખાએ ફોન કરી જણાવ્યું કે, સચિન સૂતો છે અને જાગતો નથી. પછી તેણે કહ્યું કે, તેને હોસ્પિટલમાં લાવી છું, પરંતુ ડોક્ટરે મૃત જાહેર કર્યો છે. બાદમાં તેને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં રિપોર્ટમાં મોતનું કારણ ગળાફાંસો બતાવાયું હતું. આ મામલે મકરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં યુવતી પોલીસને ગોળ-ગોળ ફેરવતી હતી. આખરે આ મામલે યુવતીએ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થતા યુવતી સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ યુવતીએ હત્યા શા માટે કરી તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રદૂષણની ગંભીર અસર : બે વર્ષમાં ગુજરાતમાં શ્વાસના દર્દીઓમાં 40%નો વધારો, અમદાવાદમાં સૌથી વધુ કેસ
(AI IMAGE) Air Pollution in Gujarat: શિયાળાની સાથે જ પ્રદૂષણના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ છેલ્લા ઘણા દિવસથી 200ને પાર નોંધાય છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત 'સૂર્યકિરણને નમસ્કાર' કાર્યક્રમમાં રાજ્યભરના એક લાખથી વધુ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા સહિત દેશ-વિદેશના યોગપ્રેમીઓ જોડાયા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શીશપાલસિંહ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી નાગરિકોને પ્રેરિત કર્યા હતા. અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે પણ પોતાના નિવાસ સ્થાનેથી સૂર્યનમસ્કારનો અભ્યાસ કરી સૂર્યકિરણને વધાવ્યું હતું. યુવાનોએ યોગ અને સૂર્ય ઉપાસનાના માધ્યમથી નવા વર્ષનો મંગલ અને સંસ્કારસભર પ્રારંભ કર્યો હતો. આ અવસરે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, 'સૂર્યકિરણ સાથેની તંદુરસ્ત શરૂઆત યુવાનોના સ્વાસ્થ્ય, સંયમિત જીવનશૈલી અને પ્રગતિ માટે આશીર્વાદરૂપ બનશે.' રાજ્યમાં ચાલી રહેલા યોગ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લામાંથી કુલ ૩,૪૮૯ નોંધણી થઈ હતી. આ સિદ્ધિ જિલ્લાના યોગ ટ્રેનરો, સંકલનકર્તાઓ અને યોગપ્રેમી નાગરિકોના સંયુક્ત અને નિષ્ઠાવાન પ્રયત્નોનું પરિણામ છે. શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં યોગ પ્રત્યે વધતી જાગૃતિ અને સક્રિય જનસહભાગિતા અમરેલી જિલ્લાના સકારાત્મક આરોગ્ય અભિગમને પ્રતિબિંબિત કરે છે. રાજ્યના અનેક મોટા જિલ્લાઓની સરખામણીએ અમરેલી જિલ્લાનો નોંધણી દર પ્રશંસનીય રહ્યો છે, જે 'સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' અભિયાનને વધુ મજબૂતી આપે છે.
કર્ણાટકમાં બેનર મુદ્દે વિવાદ, બે ધારાસભ્યોના સમર્થકો વચ્ચે લોહિયાળ સંઘર્ષ, એકનું મોત
karnataka News : કર્ણાટકના બેલ્લારી જિલ્લામાં શુક્રવારે વાલ્મિકી સમાજની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમ પહેલા બેનર લગાવવા જેવી સામાન્ય બાબતે થયેલી હિંસક અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો છે અને પોલીસે સાવચેતીના ભાગરૂપે મોટા મેળાવડા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
હવામાન વિભાગે ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ સંભવિત કમોસમી વરસાદને કારણે અમરેલી જિલ્લામાં પાકને નુકસાન થવાની શક્યતા છે, જેને પગલે ખેડૂતોને પાક સંરક્ષણ માટે આગોતરી તકેદારી રાખવા અનુરોધ કરાયો છે. ખેડૂતોને સૂચના આપવામાં આવી છે કે ખેતરમાં કાપણી કરેલ અથવા ખુલ્લામાં રહેલ ખેત ઉત્પાદનને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવામાં આવે. જો શક્ય ન હોય તો, તેને પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું. ઉપરાંત, ઢગલાની આસપાસ માટીના પાળા બનાવી વરસાદી પાણી ઢગલાની નીચે ન જાય તેની વ્યવસ્થા કરવી. આ સમયગાળા દરમિયાન જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ ટાળવા જણાવાયું છે. ખાતર અને બિયારણનો જથ્થો પલળી ન જાય તે રીતે સુરક્ષિત સ્થળે સંગ્રહિત રાખવા પણ અનુરોધ કરાયો છે. એ.પી.એમ.સી.માં વેપારીઓ અને ખેડૂતોને પણ અનાજ અને ખેત પેદાશોને ઢાંકીને અથવા શેડ હેઠળ સુરક્ષિત રાખવા સૂચના અપાઈ છે. શક્ય હોય ત્યાં સુધી આ દિવસોમાં એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે પેદાશ લાવવાનું ટાળવું અથવા સંપૂર્ણ સુરક્ષા સાથે લાવવું. અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારી જીગ્નેશ કાનાણીએ જણાવ્યું કે, આ અંગે વધુ માહિતી માટે ખેડૂતો તેમના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર 1800 180 1551 પર સંપર્ક કરી શકે છે.
ગાંધીનગરના ઝુંડાલથી અડાલજ તરફ જતા નર્મદા કેનાલ બ્રિજ પાસે ગત 31 ડિસેમ્બરની વહેલી સવારે એક કરુણ અકસ્માત સર્જાયો હતો. મિત્ર સાથે બોક્સ ક્રિકેટ રમવા જઈ રહેલા 17 વર્ષીય કિશોરને અજાણ્યા વાહને અડફેટે લેતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. આ અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ જતા અડાલજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બોક્સ ક્રિકેટ રમવા જવા નીકળેલા યુવકનું મોતપોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર,મૂળ મધ્યપ્રદેશના અને હાલ ચાંદખેડા વિસ્તારમાં રહેતા વિરસિંઘ ઠાકુરનો 17 વર્ષીય પુત્ર હેમંત તેના મિત્ર યુવરાજ સાથે એક્ટિવા (GJ-27-AB-6791) પર વહેલી સવારે છ વાગ્યાના સુમારે વૈષ્ણોદેવી સર્કલ પાસે બોક્સ ક્રિકેટ રમવા જવા નીકળ્યો હતો. રોડ પર પડતા વાહન ચાલક ટક્કર મારી ફરારદરમિયાન ઝુંડાલથી અડાલજ તરફ જતા નર્મદા કેનાલ બ્રિજ ઉતરતા બાલાજી કુટીર પાસે અચાનક એક્ટિવા નમી પડતા બંને મિત્રો રોડ પર પટકાયા હતા. હેમંત અડાલજથી ઝુંડાલ તરફના રોડ પર ફેંકાયો હતો. તે જ સમયે પૂરઝડપે આવી રહેલા કોઈ અજાણ્યો વાહન ચાલક હેમંતને જોરદાર ટક્કર મારી ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. માથા-શરીર પર ઈજાઓ થતાં સારવાર દરમિયાન મોતઆ અકસ્માતમાં હેમંતને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને 108 મારફતે તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું કરુણ મોત નીપજ્યું હતું. મૃતક હેમંતના પિતા વિરસિંઘ ઠાકુર જેઓ ઇન્ડિયન ઓઇલના ટેન્કર પર ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે તેમણે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. આ મામલે અડાલજ પોલીસે ગુનો નોંધી ફરાર વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. જે પરીક્ષા 18 માર્ચ સુધી ચાલશે. જેમાં રાજકોટ જિલ્લામાં ધોરણ 10 અને 12 માં 76,612 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ વખતે પ્રથમ વખત પ્રિ બોર્ડ એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું છે. જાન્યુઆરી મહિનામાં પ્રીલીમનરી એક્ઝામ પ્રિ બોર્ડ એક્ઝામ તરીકે લેવાશે. જેમાં બોર્ડની પરીક્ષા જેવો માહોલ હશે. જેથી બોર્ડની મુખ્ય પરીક્ષા વિદ્યાર્થીઓ કોઈ પણ જાતના તણાવ વિના આપી શકશે. રાજકોટ ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ધોરણ 10માં 45,421 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ધોરણ 12 સાયન્સમાં 7,984 વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રવાહમાં 23,207 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા શરૂ થશે. ધોરણ 12 સાયન્સની પરીક્ષા 16 મી માર્ચે પૂર્ણ થશે જ્યારે ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 18 માર્ચ 2026 ના પૂર્ણ થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે પ્રિ બોર્ડ એકઝામનું આયોજન આ વખતે પ્રથમ વખત કરવામાં આવ્યું છે. જેના માટે સેલ્ફ ફાઇનાન્સ યુનિયન તેમજ સંચાલક મંડળ, શિક્ષક સંઘ અને આચાર્ય સંઘ સાથે બેઠક યોજાઈ ચૂકી છે. તમામ શાળાઓમાં પ્રિલિમિનરી પરીક્ષા ચાલુ માસમાં લેવાતી હોય છે ત્યારે તે પરીક્ષા પ્રિ બોર્ડ એકઝામ તરીકે લેવાશે. જેથી વિદ્યાર્થીઓ પરીક્ષાના માહોલથી પરિચિત થાય અને નિર્ભય રીતે પરીક્ષા આપી શકે. બોર્ડની પરીક્ષા ચોરી મુક્ત માહોલમાં યોજાય તે માટે બોર્ડની ગાઈડલાઈન મુજબ આયોજન કરવામાં આવનાર છે. શાળાઓને વધારાનું ડિસ્ટર્બન્સ ન થાય અને વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાથી પરિચિત થાય તે માટે આ વખતે પ્રિ બોર્ડ એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા એ જ રીતે લેવાશે જે રીતે બોર્ડની પરીક્ષા લેવાતી હોય છે એટલે કે તેમાં સ્ક્વોડ, બારલોડ સ્ટીકર, નિયત સમય અગાઉ એન્ટ્રી, CCTV થી મોનિટરિંગ એ પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી છે.
પાટણમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ લઘુતમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, જ્યારે ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે. આજે વહેલી સવારે લઘુતમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે મહત્તમ તાપમાન 25 ડિગ્રી રહેવાની શક્યતા છે.વહેલી સવારે ફૂંકાતા ઠંડા પવનોના કારણે શહેરમાં શીત લહેરનો અનુભવ થઈ રહ્યો છે. નાના બાળકોને ઠંડીથી બચાવવા માટે વાલીઓ ગરમ કપડાં, સ્વેટર અને ટોપીઓની ખરીદી કરી રહ્યા છે. પાટણના મુખ્ય બજારમાં ફૂટપાથ પર નાના વેપારીઓએ બાળકોના વસ્ત્રોની હાટડીઓ લગાવી છે, જ્યાં મોટા શોરૂમ કરતાં પ્રમાણમાં સસ્તા ભાવે ગરમ કપડાં મળે છે.યુવાનો અને યુવતીઓ તેમની પસંદગી મુજબની ડિઝાઇનના ગરમ સ્વેટર અને ટોપીઓ ખરીદવા માટે શોરૂમમાં ધસારો કરી રહ્યા છે. વાલીઓ બાળકોને ઠંડીથી બચાવવા ગરમ વસ્ત્રોની સાથે શરદી અને ખાંસી પ્રતિરોધક આહાર પર પણ વિશેષ ધ્યાન આપી રહ્યા છે. ઠંડીના વાતાવરણમાં સ્વાસ્થ્ય જાળવવા માટે વહેલી સવારે મોર્નિંગ વોક અને કસરત કરનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. જાહેર માર્ગો અને સોસાયટીના ખુલ્લા પ્લોટમાં મહિલાઓ, યુવતીઓ, યુવાનો, વૃદ્ધો અને બાળકો યોગા, પ્રાણાયામ અને કસરત કરતા જોવા મળી રહ્યા છે.
ઈન્ફ્લુએન્સર મહિલાની ૧૦૦ ફેક પ્રોફાઈલ બનાવી મોર્ફ ફોટા વાયરલ
પંજાબના ધો. ૭ સુધી ભણેલા યુવકનું પરાક્રમ 17 લાખ ફોલોઅર્સ ધરાવતી મહિલાને અભદ્ર કોમેન્ટ મલતાં તપાસ કરીઃફેક પ્રોફાઈલ્સ શોધતાં શોધતાં ખુદ પોલીસ થાકી ગઈ મુંબઇ - શહેરની એક મહિલા ઇન્ફ્લુએન્સરના મોર્ફ કરેલા નગ્ન ફોટાઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાના આરોપસર થાણે પોલીસે પંજાબથી એક ૨૧ વર્ષના યુવકની ધરપકડ કરી છે. આરોપીએ આ માટે મહિલા ઇન્ફ્લુએન્સરની ૧૦૦થી વધુ ફેક સોશિયલ મીડિયા પ્રોફાઇલબનાવી હતી. આરોપીની ઓળખ ગોલુ જયરામ તરીકે થઇ છે તે ફક્ત સાતમા ધોરણ સુધી જ ભણેલો છે તેને સ્થાનિક કોર્ટમાં હાજર કરવામાં આવતા પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.
જંગલને બદલે શેરડીના ખેતરોમાં ઉછરી રહેલાં દીપડાંનાં બચ્ચાં
ટ્રેક્ટરોનીઘરઘરાટી વચ્ચે શુગરબેબીનો ઉછેર પુણેનાજુન્નરમાં ૭૦ ટકા દીપડાનો ખેતરોમાં જ વસવાટઃ માનવજીવન વચ્ચે જ રહેવાનું પસંદ મુંબઇ- પુણે જિલ્લામાં દીપડાના ભારે આતંકને
વેરાવળની દીકરીએ BSFની તાલીમ પૂર્ણ કરી:વતન પરત ફરતા ગામમાં ભવ્ય સ્વાગત, શિલ્ડ આપી સન્માન કરાયું
વેરાવળ તાલુકાના રામપરા ગામની જાદવ રેખાબેન કાન્તીભાઈએ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની કઠિન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. દેશસેવામાં જોડાવાની આ સિદ્ધિથી સમગ્ર રામપરા ગામ અને વણકર સમાજમાં ગૌરવની લાગણી વ્યાપી છે. BSFની તાલીમ પૂર્ણ કરીને રેખાબેન વતન પરત ફરતા ગામજનો અને પરિવારના સભ્યો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઢોલ-નગારા અને દેશભક્તિના નારા સાથે ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ગામના મુખ્ય માર્ગો પર લોકો ઉમટી પડ્યા હતા અને રેખાબેન પર ફૂલવર્ષા કરીને અભિનંદન પાઠવ્યા હતા. આ ગૌરવભર્યા સમારંભ દરમિયાન શ્વાસ સંસ્થા – સોમનાથ દ્વારા રેખાબેન જાદવનું શિલ્ડ તથા શાલ અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાના સભ્યોએ તેમને ઉજ્જવળ ભવિષ્ય અને દેશસેવામાં સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી. રેખાબેન જાદવની આ સિદ્ધિ માત્ર તેમના પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની છે. એક સામાન્ય પરિવારની દીકરીએ BSF જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં સ્થાન મેળવીને અન્ય યુવતીઓ માટે આત્મવિશ્વાસ અને પ્રેરણાનો સંદેશ આપ્યો છે. આ પ્રસંગે ગામના આગેવાનો, સમાજના આગેવાનો અને શ્વાસ સંસ્થાના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું અને સૌએ રેખાબેનના શૌર્ય અને સંકલ્પને બિરદાવ્યા હતા.
પંચમહાલ જિલ્લાના નાયબ આરોગ્ય અધિકારી ડો. એમ. આર. ચૌધરી વયમર્યાદાના કારણે સરકારી સેવામાંથી નિવૃત્ત થયા છે. ગોધરાના BRGF ભવન ખાતે તેમનો વિદાય સમારોહ યોજાયો હતો, જેમાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી (DDO) દિલીપભાઈ દેસાઈએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભરતી, બદલી અને નિવૃત્તિ એ સરકારી કર્મચારીના જીવનની એક સામાન્ય પ્રક્રિયા છે. તેમણે ડો. ચૌધરીની સરાહનીય સેવાઓને બિરદાવી હતી અને તેમના નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. પોતાના સરળ સ્વભાવ અને ઉમદા સેવાભાવ માટે જાણીતા ડો. એમ. આર. ચૌધરીએ 35 વર્ષ લાંબી કારકિર્દી દરમિયાન વિવિધ મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી હતી. તેમણે વર્ષ 1989માં વ્યારા ખાતે 'મેડિકલ ઓફિસર' તરીકે સરકારી સેવામાં પદાર્પણ કર્યું હતું. ત્યારબાદ છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં 'અધિક જિલ્લા આરોગ્ય અધિકારી' જેવી મહત્વની જવાબદારીઓ સંભાળી હતી. 3 ઓક્ટોબર 2022ના રોજ તેઓ પંચમહાલમાં નાયબ જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે રૂબરૂ થયા હતા. જોકે, તેઓ છેલ્લા ૩ વર્ષથી આ જિલ્લામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત કર્મચારીઓએ ડો. ચૌધરી સાથેના પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા. તેમની વર્ષોની મહેનત અને આરોગ્ય ક્ષેત્રે આપેલા પ્રદાનને બિરદાવતા તેમનું શાલ ઓઢાડી અને સ્મૃતિ ચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગરમાં સિનિયર સિટીઝનોએ 31મી ડિસેમ્બરની અનોખી રીતે ઉજવણી કરી હતી. 60 થી 85 વર્ષના આશરે 250 જેટલા વડીલોએ બાળપણની વિવિધ રમતો રમીને નવા વર્ષને આવકાર્યું હતું. આ કાર્યક્રમ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ ઉજવણી સુરેન્દ્રનગર શહેરના શિવાજી પાર્ક પાછળ આવેલા દાળ મિલના ગ્રાઉન્ડમાં કરવામાં આવી હતી. વડીલોએ ખો, કબડ્ડી, મોઈ દાંડિયા, ધક્કા ગાડી, રસા ખેંચ, ટાયર, ભમરડા, ખૂચનીયા દાવ, લંગડી દાવ, દોડ, ગેડી દડા, ગરબા અને ડાન્સ જેવી રમતોનો આનંદ માણ્યો હતો. કાર્યક્રમની શરૂઆત પહેલા દિગ્વિજયસિંહ ઝાલા, જશુભા ઝાલા અને કે.કે. ઝાલાને યાદ કરીને મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. રમતોત્સવના અંતે માતાજીની આરતી કરવામાં આવી હતી અને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. આ કાર્યક્રમમાં ચા, પાણી, નાસ્તાથી લઈને જમવા સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ ડો. રુદ્રસિંહ ઝાલાએ ઉપસ્થિત રહી વિજેતાઓને ઇનામો એનાયત કર્યા હતા. આ કાર્યક્રમનું આયોજન રાજુભાઈ પંડ્યા, ધીરુભાઈ પરમાર અને મહાવીરસિંહ કનુભા ઝાલાએ કર્યું હતું, જ્યારે છત્રપાલસિંહ ઝાલાએ એન્કરિંગ કર્યું હતું. આ આયોજનનો મુખ્ય હેતુ સિનિયર સિટીઝનોના જીવનમાં ફરી બાળપણના રંગો ભરવાનો અને તેમને જૂની યાદો તાજી કરાવવાનો હતો, કારણ કે જવાબદારીઓના કારણે તેઓ બાળપણના શોખ પૂરા કરી શક્યા ન હતા.
પાટણમાં 2025માં 10,267 બાળકોનો જન્મ:1,386 લોકોના મૃત્યુ નોંધાયા, 42 શિશુનું મૃત્યુ
પાટણ નગરપાલિકાએ વર્ષ 2025ના જન્મ અને મરણના આંકડા જાહેર કર્યા છે. રિપોર્ટ મુજબ, પાટણ શહેરમાં કુલ 10,267 બાળકોના જન્મ નોંધાયા છે, જ્યારે 1,386 લોકોના મૃત્યુ થયા છે. જન્મેલા બાળકોમાં 4,788 દીકરીઓ અને 5,479 દીકરાઓનો સમાવેશ થાય છે. માસવાર આંકડા દર્શાવે છે કે ઓગસ્ટ 2025માં સૌથી વધુ 1,363 બાળકોનો જન્મ થયો હતો, જ્યારે નવેમ્બર 2025માં 1,099 બાળકો જન્મ્યા હતા. અન્ય મહિનાઓમાં સરેરાશ 600 થી 900 જન્મ નોંધાયા હતા. મૃત્યુના આંકડા મુજબ, પાટણ નગરપાલિકા વિસ્તારમાં કુલ 1,386 વ્યક્તિઓના મૃત્યુ નોંધાયા છે. આમાં 547 સ્ત્રીઓ અને 839 પુરુષોનો સમાવેશ થાય છે. એક વર્ષથી ઓછી વયના 42 શિશુ મૃત્યુ અને 1 થી 5 વર્ષની વયના 8 બાળકોના મૃત્યુ નોંધાયા છે. વર્ષ દરમિયાન કુલ 158 મૃત જન્મ (Still Birth)ના કિસ્સાઓ પણ સરકારી ચોપડે નોંધાયા છે. નગરપાલિકાને જન્મ અને મરણ પ્રમાણપત્રો તથા નોંધણી ફી પેટે કુલ 3,79,300 રૂપિયાની આવક થઈ છે. આમાં મોડી નોંધણી ફીના 5,310 રૂપિયા અને પ્રમાણપત્ર ફીના 3,73,990 રૂપિયાનો સમાવેશ થાય છે. જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી નોંધણી પ્રક્રિયા સતત ચાલુ રહી હતી.
થર્ટી ફર્સ્ટની રાતે યુવાધને એકઠા થઇને નવા વર્ષને ઉમળકાભેર વધાવ્યું, ઠેર ઠેર પાર્ટી યોજાઇ પણ ઘણા પીવાના શોખીનોએ નવા વર્ષની પહેલી રાત પોલીસ સ્ટેશનમાં વિતાવવી પડી. જેનું કારણ હતું પોલીસની સજ્જતા. પોલીસ બ્રેથ એનેલાઇઝર અને બોડી વોર્ન કેમેરા સાથે સજ્જ થઇને રસ્તા પર ઉતરી હતી કેમ કે ચેકિંગ દરમિયાન ક્યારેક પોલીસ સાથે ઘર્ષણ થાય તો બોડી વોર્ન કેમેરાના ફૂટેજ ખૂબ મદદરૂપ થાય છે. જેનું તાજુ ઉદાહરણ છે અમદાવાદના પાલડીમાં મહિલા અને ટ્રાફિક પોલીસ વચ્ચે થયેલી બોલાચાલી. પહેલા તો પોલીસે મહિલાને માર માર્યાનો વીડિયો સામે આવ્યો હતો પણ બીજા દિવસે પોલીસે બોડી વોર્ન કેમેરાના ફૂટેજ જાહેર કર્યા. જેનાથી આખો મામલો 180 ડિગ્રીએ ફરી ગયો. કારણ કે એ વીડિયો જોઇને મહિલાના પોલીસ સાથેના વર્તન પર જ સવાલો ઊભા થયા. પોલીસે જે બોડી વોર્ન કેમેરામાં કેદ થયેલા ફૂટેજનો ઉપયોગ પોતાના બચાવ માટે કર્યો આવું અન્ય કિસ્સામાં સામાન્ય નાગરિક માટે શક્ય છે ખરૂં? એટલે કે જાહેરમાં પોલીસ સાથે કોઇ વિવાદ થાય તો કોઇ વ્યક્તિ પોતાનો પક્ષ મજબૂત કરવા બોડી વોર્ન કેમેરાના ફૂટેજ માગી શકે ખરી? ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી બોડી વોર્ન કેમેરા ચર્ચાના કેન્દ્રમાં છે ત્યારે તમારા માટે જાણવું ખૂબ જરૂરી છે કે નાગરિક સાથેના વર્તનને લઇ પોલીસ મેન્યૂઅલ શું કહે છે? પોલીસ સાથેના ગેરવર્તનમાં કેટલી સજા અને દંડ થઇ શકે છે. આવા કેટલાક મહત્વના સવાલોના જવાબ મેળવવા માટે અમે જાણીતા વકીલ અને ક્રાઇમની બાબતોના નિષ્ણાત એડવોકેટ આનંદ બ્રહ્મભટ્ટ તેમજ રાજકોટના ટ્રાફિક ડીસીપી હરપાલસિંહ જાડેજા સાથે ખાસ વાતચીત કરી હતી. બોડી વોર્ન કેમેરાના ફૂટેજ પુરાવો બની શકેજ્યારે પોલીસ સાથે ઘર્ષણ થાય છે ત્યારે નાગરિકોએ એ યાદ રાખવું જોઇએ કે તમારૂં બધું વર્તન, વાતચીત, ભાષા બોડી વોર્ન કેમેરામાં કેદ થાય છે. જે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે કેમ કે બોડી વોર્ન કેમેરાના ફૂટેજ કોર્ટમાં પુરાવા તરીકે માન્ય રહી શકે છે. આ અંગે એડવોકેટ આનંદ બ્રહ્મભટ્ટ કહે છે કે, એવિડન્સ એક્ટની કલમ 65(B) પ્રમાણે જે-તે વ્યક્તિએ વીડિયો અંગે સર્ટિફિકેટ આપે જ્યારે નવા કાયદાની સેક્શન 63 (BSA) પ્રમાણે પણ જો સર્ટિફિકેટ આપવામાં આવે તો આવા પુરાવાને કોર્ટમાં માન્ય રાખવામાં આવે છે. આ સર્ટિફિકેટ એટલે સર્ટિફિકેટ જેમાં લખેલું હોય કે મેં મારા મોબાઇલમાંથી આ વીડિયો ઉતાર્યો છે. તેની મિનિટ, સેકન્ડ, ડિવાઇસ સહિતનું ડિસ્ક્રિપ્શન હોય છે. જે એવું સાબિત કરે કે આ વીડિયો મારા મોબાઇલમાંથી અને મેં જ ઉતાર્યો છે. 15-20 દિવસનું રેકોર્ડિંગ સ્ટોર થઇ શકેરાજકોટના ટ્રાફિક ડીસીપી હરપાલસિંહ જાડેજાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, કોન્સ્ટેબલથી માંડીને ફિલ્ડમાં જતાં કોઇપણ કર્મચારી કે અધિકારી બોડી વોર્ન કેમેરા વાપરી શકે છે. બોડી વોર્ન કેમેરા બે પ્રકારના હોય છે. એક પ્રકારના કેમેરામાં ફક્ત રેકોર્ડિંગ થાય છે. જ્યારે બીજામાં લાઇવ પણ થઇ શકે. 'જે કેમેરામાં રેકોર્ડિંગ થાય છે તેનું રેકોર્ડિંગ સ્ટોર કરવું પડે છે. 15-20 દિવસનું રેકોર્ડિંગ સ્ટોર થઇ શકે છે. જ્યારે સ્ટોર કરવાની કેપેસિટી પૂરી થવા આવે ત્યારે ગાંધીનગરથી મંજૂરી લઇને રેકોર્ડિંગ ડિલીટ કરવા પડે.' ફૂટેજ આપવા કે નહીં તે મેરિટના આધારે નક્કી થાયતેઓ કહે છે કે, પોલીસ મેરિટના આધારે નક્કી કરે કે ફૂટેજ આપવા છે કે નથી આપવા. જો પોલીસ ફૂટેજ ન આપે તો RTIનો જે જવાબ આપે તેમાં કારણો જણાવે કે આ કારણોસર તમને ફૂટેજ નથી આપી શકાય તેમ. ફૂટેજની સંવેદનશીલતા જોઇને તે ફૂટેજ આપવા કે નહીં તે નક્કી કરાતું હોય છે. ફૂટેજ આપવા યોગ્ય છે કે નહીં તે પણ જોવું પડે. બોડી વોર્ન કેમેરાના ફૂટેજ મેળવવા માટે પોલીસ કમિશનર કે એસપીને RTI કરવી પડે. જ્યારે થર્ડ પાર્ટીના ફૂટેજ જોઇતા હોય ત્યારે તે થર્ડ પાર્ટીને પૂછવું પડે. જ્યારે કોઇ વ્યક્તિ બોડી વોર્ન કેમેરાના ફૂટેજ મેળવવા માટે RTI કરે તો સામાન્ય રીતે શું થતું હોય છે તેનો જવાબ એડવોકેટ આનંદ બ્રહ્મભટ્ટે આપ્યો. ફૂટેજ ન આપવા પોલીસ જુદા-જુદા બહાના કાઢે છેઃ વકીલતેઓ કહે છે કે, બોડી વોર્ન કેમેરા હોય કે સીસીટીવી કેમેરા હોય સરકારના જે સેક્ટરમાં આ સુવિધા હોય છે તે ઘણીવાર પબ્લિકને દેખાડા માટેની હોય છે. એ ખરેખર પબ્લિકને મળતી નથી. કોર્ટના હુકમ મુજબ પોલીસ સ્ટેશનના ફૂટેજ લોકોને આપવાના અને જાહેર કરવાનું કહેવાયું છે. નિયમનું અનુકરણ કેટલું કરવું તે અધિકારી નક્કી કરે છેઃ વકીલઅમે પૂછ્યું કે,શું જરૂર પડે તો પોલીસે પહેરેલા બોર્ડી વોર્ન કેમેરાના વીડિયો કે સીસીટીવી વીડિયોએ ફરજિયાત જાહેર કરવા જ પડે તેવો કોઇ કાયદો છે? તો તેમણે કહ્યું કે, હા એવા નિયમ અને કાયદો તો ચોક્કસ છે પરંતુ તેનું અનુકરણ કેટલા અંશે કરવું તે દરેક અધિકારી નક્કી કરતા હોય છે. જો નિષ્પક્ષ રીતે કોઇને ન્યાય મળે તેમ હોય તો પોલીસે ચોક્કસ ફૂટેજ જે-તે વ્યક્તિને આપવા જ જોઇએ. શું પોલીસ કોઇના પર હાથ ઉપાડી શકે? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, પોલીસ ક્યારેય કોઇના પર હાથ ન ઉપાડી શકે. પોલીસને પણ કાયદાની મર્યાદા લાગુ પડે છે. પોલીસે પણ કાયદામાં રહીને કામ કરવાનું છે. પોલીસ રિમાન્ડ માંગે ત્યારે જે-તે વ્યક્તિને મારશે તે માન્યતા પણ ખોટી છે. પોલીસ પાસે માર મારવાની કોઇ સત્તા નથી. તેમણે સુપ્રીમ કોર્ટે આપેલી ગાઇડ લાઇનનો ઉલ્લેખ કર્યો. તેઓ બી.કે.બાસુ V/S સ્ટેટ ઓફ બંગાળના જજમેન્ટની વાત કરતા કહે છે કે કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે રિમાન્ડ દરમિયાન વ્યક્તિ સાથે કેવી રીતે વર્તન કરવું. જે રિમાન્ડ પર છે તેના મેડિકલ ઓબ્ઝર્વેશન પણ સમયાંતરે કરાવવા આ બધી ગાઇડલાઇન સુપ્રીમ કોર્ટે આપી છે પરંતુ જેણે પાલન કરવાનું છે તે નથી કરતા તો તે આપણી મર્યાદા છે. અમે છેલ્લે પૂછ્યું કે જે-તે વ્યક્તિએ પોલીસ સાથે વર્તનમાં શું ધ્યાન રાખવું જોઇએ? તેઓ કહે છે કે, આપણે પોલીસની પરિસ્થિતિ પણ સમજવી જોઇએ. પોલીસ ખરા તડકે, કડકડતી ઠંડીમાં પણ પોતાની ફરજ બજાવતી હોય છે તો આપણી ફરજ છે કે આપણે સમજવું જોઇએ કે પોલીસ પણ હ્યુમન બિઇંગ છે. પોલીસ યુનિફોર્મમાં છે એટલે માણસ નથી, એવું ન હોય. ક્યારેક પોતાના અંગત કારણોને લીધે તેમની માનસિક પરિસ્થિતિ પણ ખરાબ હોય તેવું બની શકે. પોલીસના વર્તન અંગે પોલીસ મેન્યુઅલમાં લખેલા નિયમની વાત કરતા તેઓ કહે છે કે, મેન્યુઅલના નિયમ 137માં સ્પષ્ટ છે કે પોલીસે નિષ્પક્ષ તપાસ કરવાની હોય છે પરંતુ સામે તરફથી આરોપી કઇ પરિસ્થિતિમાંથી આવ્યો છે, તેની વર્તણૂક શું છે? આ બધા દૃષ્ટિકોણ પણ કામે લાગતા હોય છે. જે-તે વ્યક્તિને મોરલ વેલ્યુનું શિક્ષણ યોગ્ય રીતે ન મળ્યું હોય તેનાથી ફેર પડતો હોય છે. બોડી વોર્ન કેમેરામાં સતત ઓડિયો અને વીડિયો રેકોર્ડિંગ થતું હોય છે. આ ઉપરાંત કન્ટ્રોલ રૂમમાં યુનિક કોડ મારફતે હાલ ક્યા ક્યા બોડી વોર્ન કેમેરામાં રેકોર્ડિંગ ચાલુ છે તે પણ જાણી શકાય છે. આ કોડ સાથે જે-તે અધિકારીનો ફોન નંબર પણ કનેક્ટ કરેલો હોય છે. ખાસ સીમકાર્ડ ધરાવતા ફોન સાથે આ બોડી વોર્ન કેમેરા અટેચ કરેલા હોય છે. વિદેશમાં તો લોકોને સૌથી વધુ ડર ટ્રાફિક પોલીસનો લાગે છે. જ્યારે ટ્રાફિક પોલીસ કોઇ કારને ચેઝ કરીને ઇશારો કરે ત્યારે કાચના ડ્રાઇવરે કાચ નીચે ઉતારીને કારમાં જ બેસીને ટ્રાફિક પોલીસ કંઇ પૂછે તેની રાહ જોવી પડે છે.
ફેબ્રુઆરી 2025જમાન્યામાળ, ડાંગગામનો એક છોકરો સતત બીમાર રહેતો. કોઈ નોર્મલ પરિવાર હોય તો તેને સારા ડૉક્ટર પાસે લઈ જાય. પરંતુ આ સમાજના ‘સમજુ વડીલો’એ ભેગા થઈ નક્કી કર્યું કે, આ છોકરો કોઈ ધાર્મિક કારણથી જ બીમાર પડી રહ્યો છે. આખા સમાજે એકઠા થઈ નક્કી કર્યું કે વિધિ કરવી પડશે. ક્યાંકથી બે ભૂવા પણ પકડી લાવવામાં આવ્યા. એણે બધી મહિલાઓને એકબાજુ બેસાડી, ને પોતાની આંખો બંધ કરીને કશીક વિધિ કરવાની માયાજાળ પાથરી. થોડી જ વારમાં ત્રણ મહિલાઓ તરફ આંગળી ચીંધીને નજીક બોલાવી અને જોરથી બૂમ પાડી કે, આ ત્રણેય ‘ડગરી’ છે, ડાકણ છે. આમના કારણે જ બધાને દુ:ખો પડે છે. એકાએક લોકો એ ત્રણેય મહિલાઓ પર ધસી ગયા અને… *** ઓક્ટોબર 2023ગળકુંડ, ડાંગ‘અહીંથી અમારા ઘરે આવવાનો રસ્તો છે. એક દિવસ ત્યાં સામે રહેતાં મારાં સગાં ભાભીએ મને ને મારી પત્નીને ગંદી ગાળો ભાંડવાનું શરૂ કર્યું. સવારે દસ વાગ્યાથી એમણે ગાળો બોલવાની શરૂઆત કરી, તે છેક સાંજે 5-6 સુધી એ બકવાસ ચાલુ રાખ્યો. મેં પૂછ્યું કે આવું શા માટે કરો છો? તો કહે, ‘તારી બૈરી ડાકણ છે. એને કારણે જ બધા હેરાન થાય છે. મેં મારા ભાઇને આ વાતની ફરિયાદ કરી, તો એણે પોતાની પત્નીને સમજાવવાને બદલે મને જોર જોરથી મારવાનું શરૂ કર્યું. અમે પોલીસ પાસે ભાગ્યાં, તો પોલીસ પાસે પહોંચ્યા ત્યાં સુધી અમને માર્યાં. મને, મારી ઘરવાળી અને દીકરાઓને પણ!’ *** સ્ત્રીને ડાકણ ગણવાની ક્રૂર પ્રથા, 21મી સદીનું કાળું સત્યઆ બંને કહાની અલગ અલગ છે, પણ બંને વચ્ચેનું એક પાસું કોમન છે, ડાકણ પ્રથા! દાયકાઓ પહેલાં નામશેષ થયેલી આ પ્રથા 21મી સદીના 25 વર્ષે પણ આપણા ગુજરાતમાં જ ક્યાંય ક્યાંક જેમની તેમ છે. તેની મોડસ ઓપરેન્ડી લગભગ એકસરખી હોય છેઃ કોઈ મહિલાને બદનામ કરવી, ઘર ગામ કે સમાજમાં થઈ રહેલી બીમારી, મૃત્યુ, તકલીફો માટે તે મહિલાને જવાબદાર ઠેરવી તેને ‘ડાકળ’ કહીને વગોવી મારવાની. તેનો સામાજિક બહિષ્કાર કરવાનો, શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો. એ હદે એને હેરાન કરવાની કે એ મહિલા કંટાળીને આપઘાત સુદ્ધાં કરી લે. ડાંગમાં પોલીસે ચલાવ્યું ‘ઑપરેશન દેવી’જો તમે શહેરી વિસ્તારમાં રહેતા હો અને તમને લાગશે કે આવી ઘટનાઓ તો ભૂતકાળની વાત થઈ. તો તમારે ગામડાંઓની મુલાકાત લેવી જોઈએ, ખાસ કરીને દક્ષિણ ગુજરાતનાં! ત્યાંના ડાંગ જેવા વિસ્તારોમાં આદિવાસીઓ આજે પણ ડાકણ પ્રથાના હિમાયતી છે. જ્યારે પણ કોઈના પરિવારમાં કશું ખોટું થાય, કોઈ બીમાર પડે તો એ પૂરો દોષનો ટોપલો એક મહિલા પર ઢોળી દેવામાં આવે છે. ગુજરાતમાં અંધશ્રદ્ધાના શોકિંગ બનાવો પરની આપણી સિરીઝ ‘માયાજાળ’ના પાંચમા અને છેલ્લા એપિસોડમાં વાત કરીએ ડાંગ જિલ્લામાં પોલીસે આ ડાકણ પ્રથા દૂર કરવા માટે જે અનોખું ‘ઓપરેશન દેવી’ ચલાવ્યું તે વિશે. 2023માં ડાંગના તત્કાલીન SP (સુપ્રિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ) IPS યશપાલ જગાણિયાએ શરૂઆત કરી અને અત્યારે SP ડાંગ તરીકે IPS પૂજા યાદવ ‘ઓપરેશન દેવી’ને આગળ વધારી રહ્યાં છે. તે અંતર્ગત ડાંગમાં જે જે મહિલાઓને સમાજમાંથી બહિષ્કૃત કરવામાં આવી હોય, એ દરેકને શોધી, એમની સાથે મુલાકાત કરી અને સાથે સમાજના લોકો સાથે પણ વાત કરી અને દરેક મહિલાઓને સમાજમાં ફરી પ્રસ્થાપિત કરી. દિવ્ય ભાસ્કરે ડાંગનાં ગામડાંઓમાં ફરી એ મહિલાઓ સાથે વાત કરી અને તેમની આપવીતી જાણી. એ પણ જાણવા પ્રયાસ કર્યો કે અત્યારે શું પરિસ્થિતિ છે? ‘તમારા દીકરા પર ડાકણનો પડછાયો પડ્યો છે’સૌથી પહેલાં વાત કરીએ જમન્યામાળ નામના ગામની. ગામનો રમણ વાઘમારે નામનો એક છોકરો થોડા સમયથી બીમાર રહેવા લાગ્યો. લાંબી દવાઓ કરાવી પણ કોઈ સોલ્યુશન ન આવ્યું એટલે પિતા ધનજૂભાઈએ બાજુના ગામ કડમાળના ભગત (ડાંગમાં ભૂવાને ‘ભગત’ કહે છે)નો સંપર્ક કર્યો. ભગત ગણાભાઈ, તેનાં પત્ની જમાબેન અને બીજો ભગત સોનિરાવ ગામમાં આવ્યો. દીકરા ઉપર ધૂપધુમાડા કરી છેલ્લે કહી દીધું કે, ‘તમારા દીકરા પર ડાકણનો પડછાયો પડ્યો છે. તેને લીધે જ તમારો દીકરો બીમાર રહે છે. હવે ડાકણની વિધિ કરવી પડશે તો જ તમારો દીકરો સાજો થશે.’ ‘આ ત્રણેય ડાકણ છે, એના કારણે જ બધાને દુઃખો પડે છે’ધનજૂભાઈએ ઘરમાં આખા કુટુંબને બોલાવ્યું, વિધિના નામે આખો સમાજ ભેગો પણ થયો. કુટુંબના એક ઘરે બધા ભેગા થયા ને સમાજના વડવાઓએ બે ભૂવાઓને બોલાવ્યા. રૂમમાં બધું સેટઅપ કરી રાખ્યું હતું. તાંત્રિક વિધિની ચોકડી ફરતે બધી મહિલાઓને બેસાડી. મહિલા સામે આંખો બંધ કરી બંને ભૂવાઓએ આંખો બંધ કરી ને નાટક ચાલુ થયાં. શ્લોક બોલ્યા, ધતિંગ કર્યા ને થોડી વારમાં આચનક બૂમ પાડી. ત્રણ મહિલાઓ તરફ આંગળી ચીંધીને નજીક બોલાવી, જોરથી બૂમ પાડી, ‘આ ત્રણેય ડાકણ છે, આમના કારણે જ બધાને દુ:ખો પડે છે.’ બંને ભૂવાઓએ મળી ત્રણેય મહિલાઓ પર અત્યાચર ચાલુ કર્યા કે, ‘તું જ ડાકણ છે, કહી દે કે તારા કારણે જ આ છોકરો બીમાર પડે છે.’ ત્રણેય મહિલાઓ તો નિર્દોષ હતી. સામાન્ય ગૃહિણીઓ હતી, તો એ ક્યાંથી કબૂલે? પણ એ ભૂવાઓએ અત્યાચાર ચાલુ કર્યા ને આખી રાત પજવણી કરી. સવાર સુધી એ આખા ગામની સામે આ ભવાડો ચાલ્યો. આખો સમાજ મૂકપ્રેક્ષક બની જોતો રહ્યો ને મહિલાઓને બેફામ માર મારતા રહ્યા. અંતે સવારે ઘરેથી વાત બહાર નીકળી. ત્રણેય મહિલાને વાજતે ગાજતે નદી કિનારે ડાકણ વિધિ કરવા લઈ ગયા. પણ અહીં એક ભૂલ થઈ. ‘દેવલીબેનથી સહન ન થયું, ને એણે ગળેફાંસો ખાઈ લીધો’નદીએ જવાનો રસ્તો ગામમાં થઈને નીકળે, એટલે વહેલી સવારે નદીએ જતી વખતે ગામનું કોઈ જોઈ ગયું અને એ લોહીલુહાણ થયેલી મહિલાઓની હાલત દેખાઈ. એ ભલા માણસે જઈને આખા ગામમાં વાત ફેલાવી ને વીજળીવેગે આખું ગામ નદીએ પહોંચ્યું. પોલીસને બોલાવી અને એ ત્રણેય મહિલાઓને છોડાવી. ત્રણેય સ્ત્રીઓને તેમનાં ઘરે મૂકી આવ્યાં. પણ આ બધું એમાંની એક મહિલા દેવલીબેનથી સહન ન થયું. કાળઘાબેન અને પાનકીબેન ઘરે પહોંચીને રડતાં હતાં, પણ દેવલીબેને તો ઘરમાં પહોંચીને ગળેફાંસો ખાઈ લીધો. ‘આખું ગામ જોતું હતું, પણ કોઈ અમને બચાવવા આગળ ન આવ્યું’આ ઘટના દાયકાઓ કે સદીઓ જૂની નહિ, પરંતુ 6 મહિના પહેલાંની જ છે. કાળઘાબેન અને પાનકીબેન અત્યારે પણ એકલાં જ પોતાનું જીવન વિતાવે છે. 65-70 વર્ષની આ ઘરડી મહિલાઓ આખો દિવસ વાડીએ કામ કરી ઘરમાં એકલી જ રહે છે. અમે ડાંગના સુબીર ગામે જઈ એ બંને મહિલાઓ સાથે વાત કરી, તો કાળઘાબેને ડરતાં ડરતાં બોલવાનું શરૂ કર્યું, ‘એ બે ભૂવાઓ અમને લઈ ગયાં અને અમને ત્રણેયને હેરાન કર્યાં. એમાં બિચારી દેવલી તો દેવને પ્યારી થઈ ગઈ. એને બહુ ખોટું લાગી ગયું હતું.’ જ્યારે પાનકીબેન સાથે વાત કરી તો એ કહે, ‘અમારી ઉપર એ લોકો એવો અત્યાચાર કરતાં હતાં, તો પણ બધા શાંતિથી જોતાં હતા. કોઈએ બચાવવા હાથ પણ લાંબો ન કર્યો, કે કોઈ એક શબ્દ પણ ન બોલ્યું. ત્યાં બહુ બધી મહિલાઓ હતી, પણ અમારાં સિવાય કોઈને હેરાન ન કરી. ભગત જ્યારે દાણા જોઈને અમારી વિધિ કરતો હતો ત્યારે એની પત્ની તો અમને ત્રણેયને મારતી પણ હતી.’ 21મી સદીમાં પણ દ્રૌપદીનું ચીરહરણ અટક્યું નથીકિસ્સો જોઈ અમને યાદ આવ્યું દ્રૌપદીનું ચીરહરણ. ઘટનામાં કોઈ ફરક નથી! દ્રૌપદીની જગ્યા આ સ્ત્રીઓએ લીધી. પાંચ હજાર વર્ષ બાદ 21મી સદીમાં એકની જગ્યાએ દ્રૌપદીની સંખ્યા વધીને ત્રણ થઈ! દુર્યોધન-દુ:શાસનની જગ્યા એ બે ભૂવાઓએ લીધી. નારી હેરાન થતી રહી ને સભા મૂકપ્રેક્ષક બની જોતી રહી! આખી રાત તમાશો ચાલ્યો ને સવારે ગામલોકોએ અને પોલીસે ત્રણેય મહિલાઓને બચાવી. *** આવ જ એક બીજો કિસ્સો બન્યો હતો સાપુતારા પાસેના એક અંતરિયાળ ગામડામાં. જ્યાં 48 વર્ષનાં મંગળાબેન પર એમના જ પરિવારનો ત્રાસ હતો. અમે મંગળાબેન અને તેમના પતિ અનિલભાઈ પવાર સાથે વાત કરી. જે અત્યારે પોતાના પરિવાર સાથે સમાજથી એકલવાયું જીવન વિતાવી રહ્યા છે. જ્યારે એક મહિલાને સમાજમાંથી તરછોડવામાં આવે ત્યારે એમની શું હાલત થાય છે એનું આ જીવતુંજાગતું ઉદાહરણ છે. મંગળાબેન મૂળ મહારાષ્ટ્રનાં. 1998-99માં લગ્ન કરી ડાંગમાં રહેવા આવ્યાં. ઘરે ત્રણ દીકરા છે, જેમાં મોટા દીકરાનાં લગ્ન થઈ ગયાં છે. આટલાં વર્ષે ગુજરાતી સમજતા તો થઈ ગયાં, પણ બોલવું હજુ એમના માટે મુશ્કેલ છે. અમે મંગળાબેન સાથે વાત ચાલુ કરી. મંગળાબેન મરાઠીમાં વાત કરતાં ગયાં ને એમના પતિ અમને ગુજરાતીમાં સમજાવતા ગયા. ‘આ ડાકણને એટલી મારો કે એ મરી જાય’મંગળાબેન તમને પહેલીવાર કોણે ને ક્યારે ડાકણ કહ્યું હતું? મંગળાબેન કહે, ‘લગ્નનાં 4-5 વર્ષ સુધી બધું બરોબર ચાલ્યું, પણ એ પછી અચાનક એક દિવસ એમના પરિવારમાં કોઈ બીમાર પડ્યું તો એના દોષનો ટોપલો મારી પર ઢોળી દીધો. જ્યારે પહેલી વાર બધાએ મને બાસ (મરાઠીમાં ‘બાસ’ એટલે ડાકણ) કહીને માર માર્યો ત્યારે મને ખબર જ નહોતી પડતી કે આવું કેમ થાય છે? મને એ જ નહોતું સમજાતું કે, અહીં આટલી બધી મહિલાઓ છે, એમાંથી મને જ કેમ ડાકણ કહે છે? બધા ત્યારે મને મારતાં મારતાં એ જ બોલતા હતા કે, આને એટલો માર મારો કે આ મરી જાય. મને એટલો ત્રાસ આપ્યો કે મને થઈ ગયું, આના કરતાં હું ઝેર ખાઈને આત્મહત્યા કરી લેવી સારી. સાંજે મારા પતિ આવ્યા ત્યારે માંડ મામલો શાંત પડ્યો. પણ એક-બે દિવસમાં ફરી મામલો ગરમાયો.’ ‘એ ડાકણ ઘરમાં જ છે, એને બહાર કાઢો’મંગળાબેને વાત ચાલુ રાખી, ‘આ વખતે તો મારા પતિ હાજર હતા તોય એ લોકોએ રસ્તામાં જ અમને મારવાનું શરૂ કર્યું. મારતાં મારતાં ઘરમાં પૂરી ગયાં. બે વખત અમારી સાથે મારપીટ થઈ. અમે સરપંચ પાસે પણ મદદ માગી, તો એમણે કહ્યું કે, તમે પોલીસ પાસે જાઓ, એ જ તમારી મદદ કરી શકે છે. છેલ્લે અમે કેસ કરવા પોલીસ સ્ટેશન ગયાં. અમે કેસ કરવા ગયાં તો પાછળથી અમારા ઘરે પણ આવ્યા હતા. મારા છોકરાઓએ દરવાજો બંધ કરી દીધો તો દરવાજા પર મારવાનું શરૂ કર્યું કે, ‘એ ડાકણ ઘરમાં જ છે, એને બહાર કાઢો.’ છોકરાઓએ કહ્યું કે, ‘મમ્મી-પપ્પા ઘરે નથી, એ પોલીસ સ્ટેશન ગયાં છે. તો એ લોકોએ વધુ ઝઘડો કર્યો. છેલ્લે કંટાળીને દીકરાએ અમને ફોન કર્યો તો પોલીસ પણ ત્યાં હતી. એમણે પણ સાંભળ્યું કે, ઘરે આ લોકો કેવો હંગામો કરે છે. એટલે પોલીસ પણ અમારી મદદ કરવા સાથે ઘરે આવી.’ ‘એ ડગરી ઘરમાં જ છે, બહાર કાઢો’પણ આ બધા પાછળનું કારણ શું? મંગળાબેનના પતિ આગળ વાત કરતાં કહે, ‘કુદરતી પ્રકોપને એ લોકો અમારો દોષ માનતા હતા. ઘરમાં કોઈ પણ બીમાર થાય, પછી એ છોકરાંઓ હોય કે ઘરનાં કોઈ પશુ; દોષનો ટોપલો મારી પત્ની પર જ ઢોળતા કે, ‘આ બધાનું કારણ આની ઘરવાળી જ છે, એ જ ડાકણ છે એટલે આવું થાય છે.’ ‘પણ એવું કેમ કહેતા?’ અમે પૂછ્યું.‘એ જ તો નથી ખબર. આજ સુધી ખબર નથી પડી. જ્યારે એ લોકો કહેતા કે આનામાં ડાકણ છે, તો હું એમને સમજાવતો કે, ‘તમે તો એને થોડી વાર જુઓ છો, મારી સાથે તો આખો દિવસ અને રાત રહે છે, અમે સાથે જ જ છીએ, સાથે જ સૂઈએ છીએ. મને તો કશું નથી દેખાતું. આ તમારો વહેમ છે. મારી પત્ની નિર્દોષ છે, પણ એ લોકો સમજવા જ તૈયાર નહોતા. કોઈને કશું પણ થાય, એટલે વાંક મારી પત્નીનો જ. ‘ડગરી’ (ડાકણને ડાંગમાં ડગરી કહે છે) કહી પાછળ પડી જાય. મારી પત્ની તો મરવા પર આવી ગઈ હતી કે, મારે મરી જ જવું છે, એટલે પછી અમે પોલીસ પાસે ભાગ્યાં.’ ‘હવે તો આ પોલીસ જ અમારો પરિવાર છે’‘ઓપરેશન દેવી’ અંતર્ગત મંગળાબેનને પણ ફરી સમાજમાં પ્રસ્થાપિત કર્યાં અને હાલમાં તેઓ શાંતિથી પોતાનું જીવન વિતાવી રહ્યાં છે. એમના પતિ આગળ વાત કરતાં કહે, ‘હવે તો એ લોકોનો ત્રાસ બંધ થઈ ગયો છે. કોઈ કશું નથી કહેતું, પણ અમારી સાથે વાત પણ નથી કરતા. આજની તારીખે કોઈ અમને બોલાવતું પણ નથી, પણ અમને કોઈ ફરક નથી પડતો. એ લોકો નથી બોલાવતા તો સામે અમે પણ એમની સાથે વાત નથી કરતાં. અમે રસ્તે નીકળીએ તો અમારી સામે જુએ, પણ ક્યારેય બોલાવે નહીં. કુટુંબના પણ કોઈ લોકો નથી બોલાવતા. પણ કોઈ અમારા ઘરે રોટલા નથી આપી જતું તો અમારે એમની જરૂર પડે. ગામમાંથી ફક્ત બે જ લોકો અમારી સાથે વાત કરે છે. અમે એમની સાથે વાત કરીએ છીએ. (હાથ જોડીને કહે) કુટુંબના લોકોને તો હું હાથ જોડું છું કે તમે વાત નથી કરતાં તો ન જ કરતાં, અમને શાંતિથી જીવવા દ્યો. અમે ભલા અને અમારું ઘર ભલું.’ત્યાં મંગળાબેન બોલ્યા, ‘પોલીસ છે ને અમારો પરિવાર.’ 64 બહિષ્કૃત મહિલાઓને સમાજમાં પુનઃસ્થાપિત કરીઆ છે પોલીસની કામગીરી, પોલીસનો વિશ્વાસ. આજે આખા ગામમાંથી કોઈ નથી બોલાવતું, ગામ વચ્ચે એકલો પરિવાર રહે છે. છતાં કોઈ ડર નથી કે નથી કોઈ ચિંતા. પોલીસને પોતાનો પરિવાર માની જીવતું આ ફેમિલી અત્યારે ખુશ છે. ડાંગ પોલીસે ફક્ત એ મહિલાઓને ફરી સમાજમાં પ્રસ્થાપિત કરી એટલું જ નહીં, પણ આફ્ટર કેર પણ એટલી જ કરી. આજે પણ દર પંદર દિવસે ડાંગ પોલીસની ‘SHE’ ટીમ એ દરેક મહિલાઓને ઘરે ઘરે મળવા જાય છે. આ ફક્ત એક કેસ નહોતો, આ રીતે તો ડાંગ પોલીસે છેલ્લાં બે વર્ષમાં 64 મહિલાઓને ફરી સમાજમાં પ્રસ્થાપિત કરી છે. ડાંગના મુખ્ય સેન્ટર ગણાતા આહવામાં જ અમે એક મહિલાને મળ્યા તો એમની પણ હાલત દયનીય હતી. ‘મને જોઇ જાય તો લોકો થૂંકી નાખતા’60 વર્ષનાં શાલુબેન દુઃખી અવાજે વાત કરતાં કહે, ‘મને આ લોકો ડાકણ કહીને હેરાન કરતાં, ગંદી ગાળો ભાંડતા ને ઝઘડ્યે રાખતા. ગામમાં નીકળું તો પણ લોકો મને જોઈને ભાગી જાય. હું રસ્તાની બાજુમાં ચાલીને જતી હોઉં ને સામે કોઈ આવતું હોય તો એ લોકો મને જોઈને રસ્તો બદલી નાખે. મને જોઈ જાય તો પણ પહેલાં થૂંકી નાંખે. છોકરાઓ મને જોઈ જાય તો પણ પથ્થર મારે રાખે. આખા ગામમાં મારા વિશે ફેલાવી દીધું હતું કે, હું ડાકણ છું. છ વર્ષ સુધી મેં આ બધું સહન કર્યું પણ પછી મારાથી સહન ન થયું એટલે હું કંટાળી પોલીસ પાસે ગઈ ને અત્યારે છેલ્લાં બે વર્ષથી હું એકદમ ખુશ છું.’ ‘મારા ઘરના લોકો જ મને હેરાન કરતા’જ્યારે સુબીર ગામે રહેતાં 55 વર્ષના વિમળાબેનને તો એમના ઘરના લોકોએ હેરાન કરી મૂક્યાં હતાં. વિમળાબેન કહે, ‘રસ્તે નીકળું તો પણ લોકો મારી મજાક ઉડાવ્યે રાખે, ડાકણ કહીને ગાળો આપે. ગમે તે ગમે તેવું ખરાબ બોલે. ખાલી બહારના નહીં, મારા ઘરના અને કુટુંબના લોકો પણ મારી સાથે એવો જ વ્યવહાર કરતાં. પણ જ્યારથી પોલીસને વાત કરી ત્યારથી ઘણી શાંતિ છે. હવે કોઈ હેરાન નથી કરતું.’ *** ‘કોઇને આર્થિક નુકસાન જાય, તોય કોઈ સ્ત્રીને ‘ડાકણ’ કહીને દોષ ઢોળી દે’ઓપરેશન દેવીના કારણે મહિલાઓની હાલત અત્યારે કેટલી સુધરી છે, એ સમજી શકીએ છીએ. ઓપરેશન દેવી વિશે વિસ્તારે માહિતી મેળવવા અમે SP ડાંગ IPS પૂજા યાદવ સાથે વાત કરી, IPS પૂજા મેડમ કહે, ‘ડાંગ વિસ્તારમાં ડાકણપ્રથા ઘણી જૂની છે. અહીં જો કોઈ સ્ત્રી વિધવા હોય કે એકલી રહેતી હોય તો એમની પર અત્યાચાર થતા. જો કોઈના પણ ઘરે કશું પણ ખોટું થાય તો એ દોષનો ટોપલો એમના પર જ ઢોળવામાં આવતો. ઇવન કોઈને આર્થિક નુકસાન થાય તો પણ એ મહિલાને ડાકણ કહી એમને સમાજમાંથી કાઢી મૂકવામાં આવતી. આ પ્રથાને નાબૂદ કરવા માટે ડાંગ પોલીસે ‘ઓપરેશન દેવી’ શરૂ કર્યું. ‘ઓપરેશન દેવી પછી પાંચ મહિનામાં એકેય ફરિયાદ નથી આવી’IPS પૂજા યાદવ ઓપરેશન દેવી વિશે વાત કરતાં કહે, ‘ઓપરેશન દેવી હેઠળ જે મહિલાઓને ડાકણ કહીને હેરાન કરવામાં આવતી હોય, એમને દેવીનું રૂપ આપી સન્માન સાથે અમે ફરી સમાજમાં ભેળવીએ છીએ. જેમાં 65 મહિલાઓને અમે એમનું સન્માન પરત અપાવ્યું છે. એટલું જ નહીં, સમાજમાં ફરી પ્રસ્થાપિત કર્યા બાદ પણ અમારી SHE ટીમ કન્ટિન્યુ એ મહિલાઓની મુલાકાત લે છે અને ધ્યાન રાખે છે, જેથી ફરી એમના પર કોઈ અત્યાચાર ન થાય. એ દરેક મહિલાઓ પાસે અમારો નંબર પણ છે, જેથી એ લોકો ક્યારેય પણ અમને ફરિયાદ કરી શકે છે. પરંતુ બે વર્ષમાં ઓપરેશન દેવીની એટલી અસર પડી છે કે, છેલ્લા 5 મહિનામાં ડાકણને લગતી એક પણ ફરિયાદ નથી આવી.’ ‘ડાકણ જાહેર કરાયેલી કેટલીયે સ્ત્રીઓ આપઘાત કરી લે છે’ડાકણપ્રથા પર વાત કરતાં વિજ્ઞાનજાથાના જયંતભાઈ પંડ્યા કહે, ‘આ પ્રથાની બદી તો વર્ષોથી નહીં પણ સદીઓથી ચાલતી આવે છે. જેમાં મહિલાને સમાજમાંથી દૂર કરવાથી લઈ આત્મહત્યા સુધીનો ત્રાસ અપાતો હોય છે. ખાસ કરી ગરીબ અને આદિવાસી વિસ્તારોમાં આ પ્રકારના કેસ વધુ જોવા મળે છે. અમે એવું પણ જોયું છે કે, ઘણા કિસ્સાઓમાં તો મહિલાઓ પોતાનું ચારિત્ર્ય સાચવવા માટે પણ આ પગલું ભરે છે, જેથી જો એવું સાબિત કરે કે, એનામાં માતાજી આવ્યાં છે. તો લોકો એમના પર કુદૃષ્ટિ નાખતાં ડરે.’
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ઇન્દોરમાં દૂષિત પાણી પીવાથી 14 લોકોના મોત થયા. બીજા મોટા સમાચાર સ્વિત્ઝરલેન્ડથી રહ્યા. નવા વર્ષની ઉજવણી દરમિયાન વિસ્ફોટથી 40 લોકો માર્યા ગયા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ગૃહમંત્રી અમિત શાહ આંદામાન અને નિકોબાર ટાપુઓની મુલાકાત લેશે. 2. ચીનના શાંઘાઈથી દિલ્હી માટેની 2020થી બંધ દૈનિક નોન-સ્ટોપ ફ્લાઇટ સર્વિસ ફરી શરૂ થશે. કાલના મોટા સમાચારો 1. 15 ઓગસ્ટ 2027એ દેશની પહેલી બુલેટ ટ્રેન દોડશે:સુરત-બીલીમોરા પહેલો ફેઝ, વંદે ભારત સ્લીપરનું 180ની સ્પીડે ટેસ્ટિંગ કર્યું- ગ્લાસનું પાણી પણ ના હલ્યું પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન ગુવાહાટીથી કોલકાતા વચ્ચે ચાલશે. થર્ડ એસીનું ભાડું ₹2,300 નક્કી કરવામાં આવ્યું છે, જ્યારે સેકન્ડ એસીનું ભાડું ₹3,000 હશે. ફર્સ્ટ ACનું ભાડું આશરે ₹3,600 પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે. બીજી તરફ બુલેટ ટ્રેનને લઈને રેલમંત્રીએ કહ્યું હતું કે તે 15 ઓગસ્ટ 2027ના રોજ શરૂ થશે. સૌથી પહેલા સુરતથી બીલીમોરા સુધીનું સેક્શન ખૂલશે. એ પછી વાપીથી સુરત સુધી ખૂલશે. પછી વાપીથી અમદાવાદ સુધી ખૂલશે અને એ પછી થાણેથી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. સ્વચ્છ શહેર ઈન્દોરમાં દૂષિત પાણીથી 14નાં મોત:સરકારી રિપોર્ટમાં ઘટસ્ફોટ, પાઇપલાઇન લીકેજથી પાણીમાં ઘાતક બેક્ટેરિયા ભળી ગયા; 1400 લોકો સંક્રમિત ઇન્દોરમાં દૂષિત પાણીથી થયેલા મૃત્યુ અને બીમારીઓની પુષ્ટિ હવે સરકારી રિપોર્ટ દ્વારા કરવામાં આવી છે. મુખ્ય તબીબી અધિકારી ડૉ. માધવ હસાનીએ જણાવ્યું હતું કે, આજે મહાત્મા ગાંધી મેમોરિયલ મેડિકલ કોલેજ લેબમાં પરીક્ષણ કરાયેલા પાણીના નમૂનાઓનો રિપોર્ટ આરોગ્ય વિભાગને મળ્યો છે. તે સ્પષ્ટપણે પુષ્ટિ આપે છે કે દૂષિત પાણી પીવાથી લોકો બીમાર પડ્યા હતા અને જીવ ગુમાવ્યા હતા. હસાનીએ જણાવ્યું હતું કે, પાઇપલાઇનમાં લીકેજને કારણે પાણી દૂષિત થયું છે. ફક્ત સંબંધિત અધિકારીઓ જ દૂષણનું સ્થાન અને સ્તર નક્કી કરી શકશે. ભગીરથપુરામાં દૂષિત પાણી પીવાથી અત્યાર સુધીમાં 14 મૃત્યુ નોંધાયા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. બાંગ્લાદેશમાં વધુ એક હિંદુને જીવતો સળગાવ્યો:ટોળાએ ધારદાર હથિયારોથી હુમલો કરી પછી આગ ચાંપી, 12 દિવસમાં 3 હિંદુની હત્યા કરવામાં આવી બાંગ્લાદેશમાં ફરી એક હિંદુ વ્યક્તિને સળગાવવાનો મામલો સામે આવ્યો છે. શરિયતપુર જિલ્લામાં 31 ડિસેમ્બરના રોજ 50 વર્ષીય ખોકોન દાસ પર ટોળાએ હુમલો કર્યો. ખોકોન દાસ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે જ કેટલાક લોકોના ટોળાએ તેમને ઘેરી લીધા. પહેલા તેમના પર ધારદાર હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો, પછી નિર્દયતાથી માર મારવામાં આવ્યો અને આગ ચાંપી દેવામાં આવી. આ હુમલામાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા. ઘાયલ અવસ્થામાં ખોકોન દાસને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત નાજુક હોવાનું જણાવાઈ રહ્યું છે. ઘટના બાદ વિસ્તારમાં તણાવનો માહોલ છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. નવા વર્ષની ઉજવણી દરમિયાન સ્વિટ્ઝર્લેન્ડના રિસોર્ટમાં બ્લાસ્ટ:40 લોકોનાં મોતના અહેવાલ, 100 ઘાયલ; શહેરને નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યું ગુરુવારે સ્વિટ્ઝર્લેન્ડના ક્રેન્સ-મોન્ટાના શહેરના આલ્પાઇન સ્કી રિસોર્ટમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન વિસ્ફોટ થયો હતો. ધ મિરરે સ્થાનિક મીડિયાને ટાંકીને અહેવાલ આપ્યો છે કે 40 લોકો માર્યા ગયા છે અને 100થી વધુ ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ વિસ્ફોટ સ્થાનિક સમય મુજબ રાત્રે 1:30 વાગ્યે થયો હતો. ધડાકો કોન્સ્ટેલેશન બારમાં થયો હતો, જ્યાં ન્યૂ યરની ઉજવણી ચાલી રહી હતી. મૃતકો અને ઘાયલ થયેલા લોકો કયા દેશના છે તે હજુ સુધી જાણી શકાયું નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 5. સોના-ચાંદીના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડો:ચાંદી 2,520 રૂપિયા ઘટીને ₹2,27,900 પર આવી; સોનું ₹1.33 લાખ પર આવ્યું નવા વર્ષના પહેલા દિવસે આજે એટલે કે 1 જાન્યુઆરી 2026ના રોજ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 44 રૂપિયા ઘટીને 1,33,151 રૂપિયા પર આવી ગયો છે. ગઈકાલે તે 1,33,195 રૂપિયા/10g પર હતો. જ્યારે, એક કિલો ચાંદીની કિંમત 2,520 રૂપિયા ઘટીને 2,27,900 રૂપિયા પર આવી ગઈ છે. ગઈકાલે તેની કિંમત 2,30,420 રૂપિયા પ્રતિ કિલો હતી. આજે સતત ત્રીજો દિવસ છે જ્યારે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. 11-12 જાન્યુઆરીએ PM ગુજરાત આવશે:રાજકોટમાં રોડ શો કરી વાઇબ્રન્ટ સમિટનું ઉદઘાટન કરશે, અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલ અને ફ્લાવર શોમાં હાજરી આપશે PM મોદી 11 અને 12 જાન્યુઆરીએ ગુજરાતના મહેમાન બનશે. 11મી તારીખે રાજકોટમાં રોડ શો યોજી સૌરાષ્ટ્ર-કચ્છ રીજનલ વાઈબ્રન્ટ સમિટનો પ્રારંભ કરાવશે. ત્યાર બાદ 12મી જાન્યુઆરીએ અમદાવાદમાં આયોજિત કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવશે. કાઈટ ફેસ્ટિવલ સમયે જર્મનીના ચાન્સેલર ગુજરાતના મહેમાન બનવાના છે. ત્યારે પીએમ મોદી અને ચાન્સેલર વચ્ચે મુલાકાત થઈ શકે છે. પીએમની બે દિવસીય ગુજરાત મુલાકાતને લઈ હાલ રાજકોટ અને અમદાવાદમાં વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. નવા વર્ષે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ:હજી આગામી 12 કલાક કમોસમી વરસાદની આગાહી, ઠંડી વધશે; જાણો કયા જિલ્લામાં માવઠાનું સંકટ ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને પગલે નવા વર્ષના પ્રારંભે જ મૌસમે મિજાજ બદલ્યો છે, જેના કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું થતાં જનજીવન પ્રભાવિત થયું છે. નવસારીના મરોલી પંથક અને સુરતના હજીરા સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી ઝાપટાં પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બીજી તરફ ભાવનગર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયા માહોલ વચ્ચે ભેજનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગે આગામી 12 કલાક દરમિયાન પોરબંદર, દ્વારકા, જામનગર અને કચ્છ સહિતના જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : નવા વર્ષે અયોધ્યામાં 2 લાખ લોકોએ રામલલ્લાનાં દર્શન કર્યાં:વૈષ્ણોદેવી મંદિરમાં ભીડ વધતાં રજિસ્ટ્રેશન બંધ; મહાકાલ મંદિરમાં એક લાખ ભક્તોએ દર્શન કર્યાં વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ભારતવંશી ઝોહરાન મમદાની ન્યૂયોર્ક સિટીના પ્રથમ મુસ્લિમ મેયર બન્યા:કુરાન પર હાથ રાખીને શપથ લીધા, ન્યૂયોર્કના ઇતિહાસમાં આવું પહેલીવાર વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : શાહ બોલ્યા- મમતા સરકારમાં મા, માટી, માનુષ અસુરક્ષિત:ભાજપના કાર્યકરોને કહ્યું- દિલ પર લખી લો, આ વખતે ભાજપ સરકાર વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ઈરાનમાં લોકો મોંઘવારી સામે રસ્તા પર ઉતર્યા:રિયાલના ઐતિહાસિક ઘટાડાથી જનતામાં રોષ, લોકોએ ડેથ ટુ ડિટેક્ટરના નારા લાગ્યા, 21 પ્રાંતોમાં બળવો ભભુક્યો વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : સિગારેટ પીવી મોંઘી થશે:40% GST ઉપરાંત સરકારે ₹8,500 સુધી વધારી એક્સાઇઝ ડ્યૂટી, પાન મસાલા-ગુટકા પર નવો સેસ લાગશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ક્રિકેટરોનું ન્યૂ યર સેલિબ્રેશન:MS ધોનીએ થાઈલેન્ડમાં પાર્ટી કરી, તો વિરાટની અનુષ્કા સાથે નવા વર્ષની ઉજવણી, ચહેરા પર સ્પાઈડરમેન-સ્ટાઈલ માસ્કનો ફોટો શેર કર્યો વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : 2026ની 10 ખાસ વાતો:અધિકમાસને કારણે 12 નહીં, 13 પૂનમ-અમાસ, આખું વર્ષ શનિ મીન રાશિમાં રહેશે; જાણો મહત્ત્વના તહેવારોથી લઈને 4 ગ્રહણ સુધી વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ પતિ-પત્નીએ પોતાના ઘરને બનાવ્યું નકલી નોટોની ફેક્ટરી છત્તીસગઢના દુર્ગમાં એક દંપતી પોતાના ઘરમાં નકલી નોટોની મિની ફેક્ટરી ચલાવતા હતા. દેવાથી કંટાળીને તેમણે યુટ્યુબ પરથી રીત શીખી 500, 200 અને 100 રૂપિયાની નકલી નોટો છાપી. શંકા ન જાય તે માટે નોટો પર માટી લગાવતા હતા. પોલીસે બંનેની ધરપકડ કરીને તેમની પાસેથી 1.70 લાખથી વધુની નકલી નોટો જપ્ત કરી છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. કોમર્શિયલ સિલિન્ડર આજથી ₹111 મોંઘું:કાર્સના ભાવ પણ વધ્યા, CNG અને PNG ₹2 સસ્તાં થયાં, જાન્યુઆરીમાં થનારા 6 ફેરફાર 2. આંખે જોયેલી દરેક વાત યાદ રાખશે AI ચશ્માં:ઘરનો નોકર બનીને રહેશે AI રોબોટ, મોત પછી ડેથબોટ; 2026માં AI શું-શું કરશે? 3. આજનું એક્સપ્લેનર: પુતિનના ઘરે ડ્રોન હુમલાનો વીડિયો ફેક હતો?, યુક્રેને કહ્યું- ભારત, અમેરિકાએ નકલી હુમલા પર ચિંતા જતાવી 4. માયાજાળ-4 : મહિલાએ પતિ-દીકરાના આત્માને બોલાવવા સ્મશાનમાં કાળા નાગની વિધિ કરી: અમદાવાદની વિધવાને 14 લાખનો ચૂનો લાગ્યો; લોકો યુવતીને ખાટલા સાથે બાંધીને લાવ્યા 5. 2026ના 'મંગળમય' દિવસ:ફરી ફેબ્રુઆરીથી શરણાઈ ગુંજશે; લગ્ન માટે 59, ગૃહપ્રવેશ માટે 37 અને વાહનની ખરીદી માટે 88 દિવસ શુભ 6. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : PMOમાં ફરિયાદ કરનાર ખેડૂતે કફન બતાવી કહ્યું, “મોતથી નથી ડરતો”: સુરેન્દ્રનગરમાં સોલર પ્લાન્ટમાં કૌભાંડ; અધિકારીઓની નજર સામે કંપનીએ 790 કરોડ રૂપિયાનો ખેલ પાડ્યો કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ: મેષ રાશિના લોકોને પડકારો વચ્ચે પ્રમોશનનો યોગ, સિંહ રાશિના જાતકોની મહેનત રંગ લાવશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપીને રોકાણકારોને કરોડો રૂપિયાની ઠગાઈ કરનાર માસ્ટરમાઇન્ડ હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસાર અને તેના સાગરીતોના નેટવર્કને અમદાવાદ EDએ ઝડપી પાડ્યું છે. PMLA હેઠળ ચાલી રહેલી તપાસમાં EDએ હિમાંશુ ભાવસાર એન્ડ કંપની પાસેથી 110 કિલો ચાંદી, 39.7 કિલો ચાંદીના દાગીના, 1.296 કિલો સોનું, 38.8 લાખ રોકડ રકમ, વિદેશી ચલણ અને કરોડો રૂપિયાની સ્થાવર મિલકતોના દસ્તાવેજો જપ્ત કર્યા છે. મહેસાણા, વિસનગર અને વડનગરમાં ઓફિસો ખોલીને રોકાણકારોને ફોન કરી લાલચ આપતા આ માસ્ટરમાઈન્ડે અનેક રાજ્યોમાં 10.87 કરોડની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. EDએ કરોડો રૂપિયાની મિલકત અને રોકડ જપ્ત કર્યા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અમદાવાદ ઝોનલ ઓફિસ દ્વારા શેર માર્કેટમાં રોકાણના નામે કરવામાં આવેલી ઠગાઈના કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મની લોન્ડરિંગ એક્ટ (PMLA)હેઠળ અમદાવાદના હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસાર તથા અન્ય આરોપીઓ સામે તપાસ દરમિયાન શરૂ કરીને EDએ કરોડો રૂપિયાની મિલકત અને નાણાં જપ્ત કર્યા છે. EDએ હાથ ધરેલી તપાસમાં કુલ 110 કિલોગ્રામ ચાંદી જપ્ત કરવામાં આવી છે, જેની અંદાજિત કિંમત રૂપિયા 2.4 કરોડ થાય છે. આ ઉપરાંત લગભગ 1.296 કિલોગ્રામ સોનું પણ મળી આવ્યું છે, જેની કિંમત રૂપિયા 1.7 કરોડ છે. તેની સાથે આશરે 39.7 કિલોગ્રામ ચાંદીના દાગીના પણ જપ્ત કરાયા છે. આરોપીઓએ શેર માર્કેટમાં ઊંચા નફાની લાલચ આપી અનેક રોકાણકારોને છેતર્યા હતાઆ તપાસ દરમિયાન ભારતીય ચલણમાં રૂપિયા 38.8 લાખ રોકડ રકમ અને વિદેશી ચલણ પણ મળ્યું છે, જેની કિંમત રૂપિયા 10.6 લાખ થાય છે. આ ઉપરાંત વિવિધ સ્થાવર મિલકતના દસ્તાવેજો પણ ED દ્વારા કબજે લેવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, આરોપીઓએ શેર માર્કેટમાં ઊંચા નફાની લાલચ આપી અનેક રોકાણકારોને છેતર્યા હતા. ED દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ગુનામાં સંડોવાયેલા અન્ય લોકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. 10 કરોડથી વધુની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છેમહેસાણા જિલ્લાના ખેરાલુ પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય દંડ સંહિતા 1860ની વિવિધ કલમો હેઠળ નોંધાયેલી FIRના આધારે EDએ તપાસ શરૂ કરી હતી. ફરિયાદ મુજબ આરોપીઓએ ફરિયાદીને શેરબજારમાં પૈસા રોકાણ કરવાની લાલચ આપીને મોટો નફો કમાવ્યો અને બાદમાં, ફરિયાદીને તેમના રોકાણો પરત ન કરીને છેતરપિંડી કરી હતી. આરોપીઓએ ફરિયાદીના પૈસા કોઈપણ કંપનીના કોઈપણ શેરમાં રોકાણ કર્યા ન હતા અને તેનો ઉપયોગ વ્યક્તિગત લાભ માટે કર્યો હતો. પાછળથી તપાસ દરમિયાન, એવું બહાર આવ્યું કે ભારતના વિવિધ રાજ્યોમાં પોલીસ દ્વારા ઓછામાં ઓછી 6થી વધુ FIR નોંધવામાં આવી હતી જેમાં કુલ 10.87 કરોડ રૂપિયાની છેતરપિંડીની રકમનો સમાવેશ થાય છે. માસ્ટરમાઈન્ડે લોકોને રોકાણ માટે આકર્ષવા ત્રણ જગ્યા પર ઓફિસ ખોલી હતીતપાસમાં એવું પણ બહાર આવ્યું હતું કે, માસ્ટરમાઇન્ડ હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસાર અને અન્ય આરોપીઓએ શેરબજારમાં રોકાણના નામે સામાન્ય લોકોને આકર્ષિત કરવા અને ભંડોળ મેળવવાના હેતુથી મહેસાણા, વિસનગર અને વડનગરમાં સંખ્યાબંધ ઓફિસો ખોલી હતી. તેમણે ઘણા કર્મચારીઓને રાખ્યા હતા, જેથી તેઓ સંભવિત રોકાણકારોને નિયમિત ફોન કરીને શેરબજારમાં રોકાણના નામે ભંડોળ મેળવવા માટે તેમને વધુ વળતરની લાલચ આપી શકે. રોકાણ સલાહકાર તરીકે કામ કરવા માટે SEBI તરફથી નોંધણીનું કોઈ પ્રમાણપત્ર નહોતુંPMLA હેઠળની તપાસ દરમિયાન, એવું બહાર આવ્યું કે હિમાંશુ ભરતકુમાર ભાવસારે વિશ્વાસ સ્ટોક્સ રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ, દલાલ સ્ટોક્સ એડવાઇઝરી પ્રાઇવેટ લિમિટેડ અને દેવકી સ્ટોક્સ પ્રાઇવેટ લિમિટેડના ઉપયોગ માટે તેમની વ્યક્તિગત ક્ષમતામાં SEBI દ્વારા જારી કરાયેલા રોકાણ સલાહકાર પ્રમાણપત્રનો ઉપયોગ તેમની બિન-નોંધાયેલ રોકાણ સલાહકાર પ્રવૃત્તિઓ માટે કર્યો હતો. ત્રણ એન્ટિટી પાસે રોકાણ સલાહકાર તરીકે કામ કરવા માટે SEBI તરફથી નોંધણીનું કોઈ પ્રમાણપત્ર નહોતું. SEBIએ તેના આદેશમાં વિશ્વાસ સ્ટોક્સ રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ, દલાલ સ્ટોક્સ એડવાઇઝરી પ્રાઇવેટ લિમિટેડ અને દેવકી સ્ટોક્સ પ્રાઇવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટરો હિમાંશુ ભરતકુમાર ભાવસાર પિન્ટુ ભાવસાર અને અન્યને રોકાણ સલાહ આપીને કરવામાં આવેલા ઉલ્લંઘન માટે જવાબદાર ઠેરવ્યા હતા. વધુ તપાસ ચાલુ છે.
જમ્મુ અને કાશ્મીરના રહેવાસી આરોપી મન્ઝૂર અહમદ મીરને ગુજરાત ATSએ ઓક્ટોબર 2018માં ઝડપ્યો હતો, જે પાકિસ્તાનથી સમુદ્રી માર્ગે ભારતમાં હેરોઇનની 500 કિલોની ખેપની હેરાફેરીના ગુનાના આરોપસર ઝડપાયો હતો. ત્યારથી તે જેલમાં જ છે અને તેને નિયમિત જામીન માટે તમામ અદાલતોને વિનંતી કરી હતી, જે દરેક વખતે ફગાવી નાખવામાં આવી હતી. પત્નીને ભરણપોષણ આપવા અસમર્થઆરોપીએ 30 દિવસના હંગામી જામીન માટે અરજી કરી અને રજૂઆત કરી હતી કે અરજદાર પોતાની પત્નીને ભરણપોષણ આપવા અસમર્થ છે, જેથી તેની પત્નીએ છૂટાછેડાની અરજી કરી છે અને અરજદાર પોતાની પત્નીને છૂટાછેડા ન લેવા માટે સમજાવવા માગે છે. તે પોતે ફળ, શાકભાજી, કાર્પેટ અને શાલનો વેપારી છે અને આ કેસ સાથે તેનો કોઈ લેવાદેવા નથી. પત્નીની છૂટાછેડાની અરજીનો મુદ્દો ઉઠાવ્યોNIAએ અરજદારની જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરી હતી કે, અગાઉ ઓક્ટોબરમાં કરવામાં આવેલી જામીન અરજીમાં પણ આરોપીએ પોતાની પત્નીની છૂટાછેડાની અરજીનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ અદાલતે તે અરજી ફગાવી દીધી હતી. ફરી એક વખત તેણે જામીન માગતાં, અદાલતે પોલીસે વેરીફિકેશન કરવાની સુચના આપી હતી અને જમ્મુ-કાશ્મીરના બિયરવાહ પોલીસ સ્ટેશન દ્વારા મોકલવામાં આવેલા અહેવાલમાં પુષ્ટિ કરવામાં આવી કે, આરોપીની ધરપકડ બાદ તેની પત્ની ઘર છોડીને ચાલી ગઈ છે. છૂટાછેડાના કેસમાં વીડિયો કોન્ફરન્સથી કન્ટેસ્ટ કરી શકેઅહેવાલમાં એવું સૂચન પણ કરાયું હતું કે, આરોપી પત્નીના છૂટાછેડાના કેસમાં વીડિયો કોન્ફરન્સથી અથવા પોતાની માતા, મામા અથવા બહેનો મારફતે કન્ટેસ્ટ કરી શકે છે. તપાસ એજન્સીએ પત્નીના છૂટાછેડા માટે આરોપીને જામીન આપવાની માંગનો કડક વિરોધ કર્યો હતો. NIAએ NDPS અધિનિયમની કલમ 37 હેઠળના કડક જામીન સંબંધિત નિયમો પર ભાર મૂક્યો હતો. કોર્ટે આરોપીને હંગામી જામીન આપવા ઇનકાર કર્યોદલીલો સાંભળ્યા પછી અદાલતે જણાવ્યુ હતુ કે, NDPS અધિનિયમની કલમ 37ની જોગવાઈઓ તથા ખાસ કરીને તેમાં ઉલ્લેખિત બે શરતોને ધ્યાનમાં લેતા અરજદારને એક દિવસ માટે પણ તાત્કાલિક જામીન આપી શકાય નહીં. અરજી પર વિચાર કરવા પૂરતા કારણો ન હોવાથી, હાલની અરજી ફગાવવી જરૂરી બને છે.
ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે 47 પરના ખાડા રાજનો અંત આવશે. રાજ્યસભા સાંસદ ડૉ.જશવંતસિંહ પરમારના પ્રયાસોથી અમદાવાદથી મધ્ય ગુજરાતના વાહનચાલકોને લાંબા સમયની હાલાકીમાંથી મુક્તિ મળશે. આ માર્ગ ₹363 કરોડના ખર્ચે RCC થી બનાવવામાં આવશે. કેન્દ્ર સરકારે આ રોડના નવીનીકરણ માટે ₹363 કરોડનું બજેટ ફાળવ્યું છે. લાડવેલથી પંચમહાલના વાવડી ટોલ પ્લાઝા સુધીનો 45 કિલોમીટરનો માર્ગ RCC બનશે. નેશનલ હાઈવે ઓથોરિટીના જણાવ્યા મુજબ, આ રોડની કામગીરી ફેબ્રુઆરી મહિના સુધીમાં શરૂ કરી દેવામાં આવશે.
પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરતા જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા નવા વર્ષના પ્રારંભે એક પ્રેરણાદાયી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ‘તેરા તુજકો અર્પણ’ પ્રોજેક્ટ અંતર્ગત પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ભારત સરકારના CEIR પોર્ટલની મદદથી કુલ 20 જેટલા ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ ફોન શોધી કાઢી તેના મૂળ માલિકોને સોંપ્યા હતા. વર્ષ 2026ના પ્રથમ દિવસે જ પોતાનો કિંમતી મોબાઈલ પરત મળતા અરજદારોના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું. ₹3.14 લાખના મોબાઈલ શોધી કાઢ્યાજૂનાગઢ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ ગુમ થયેલા મોબાઈલ શોધવા માટે સતત કાર્યશીલ હતી. ટેકનિકલ સર્વેલન્સ અને CEIR (Central Equipment Identity Register) પોર્ટલ પર નોંધાયેલા IMEI નંબરને ટ્રેસ કરીને કુલ ₹3,14,988/- ની કિંમતના 20 મોબાઈલ શોધી કાઢવામાં આવ્યા હતા. અગાઉ વર્ષ 2025માં પણ આ જ રીતે 71થી વધુ મોબાઈલ ફોન રિકવર કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. અરજદારોએ માન્યો પોલીસનો આભારપોતાની દુકાનેથી 6 મહિના પહેલા મોબાઈલ ગુમાવનાર ચંદ્રેશભાઈ શાહે જણાવ્યું કે, મેં મોબાઈલ ચોરાવા અંગે બી-ડિવિઝનમાં ફરિયાદ કરી હતી. આજે પીઆઈ પટેલ અને તેમની ટીમે મને મારો ફોન શોધીને પરત આપ્યો છે, તે બદલ હું પોલીસનો ખૂબ આભારી છું. આવી જ રીતે ઝાંઝરડા ચોકડી પાસેથી ₹20,000નો મોબાઈલ ગુમાવનાર અંકિતાબેન મારવાડીએ પણ નેત્રમ શાખા અને બી-ડિવિઝન પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી. કેવી રીતે કામ કરે છે CEIR પોર્ટલ?બી-ડિવિઝન પીઆઈ જે.જે. પટેલે જણાવ્યું હતું કે, ભારત સરકારનું CEIR પોર્ટલ મોબાઈલ ધારકો માટે ખૂબ જ ઉપયોગી છે. જ્યારે પણ કોઈનો મોબાઈલ ખોવાય કે ચોરાય, ત્યારે પોર્ટલ પર લોગ-ઇન થઈને અથવા પોલીસમાં અરજી આપીને IMEI નંબર અપલોડ કરવાથી મોબાઈલ ટ્રેસ કરવો સરળ બને છે. આ ટેકનોલોજીની મદદથી અમે મોબાઈલ જેની પાસે હોય તેને શોધી કાઢીએ છીએ અને મૂળ માલિકને પરત કરીએ છીએ. આ કામગીરીમાં પીઆઈ જે.જે.પટેલ સાથે હેડ કોન્સ્ટેબલ પરેશભાઈ હુણ, નરેશભાઈ શિંગરખીયા, કોન્સ્ટેબલ રઘુવીરભાઈ વાળા, મૂળુભાઈ વાંદા, મુકેશભાઈ મકવાણા અને મનીષભાઈ હુંબલ સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. પોલીસની આ પારદર્શક અને લોકાભિમુખ કામગીરીને કારણે જનતામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
વેરાવળ ડેપો ખાતે નેશનલ રોડ સેફ્ટી મંથ-2026 અંતર્ગત માર્ગ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતો ઘટાડવા અને વાહનચાલકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. ગીર સોમનાથ જિલ્લા વેરાવળ સિટી ટ્રાફિક પોલીસ અને વેરાવળ ડેપોના મેનેજર દ્વારા ડેપોના ડ્રાઈવરોને માર્ગ સલામતી અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. ટ્રાફિક પોલીસ અધિકારીઓએ ટ્રાફિક નિયમોના કડક પાલનનું મહત્વ સમજાવ્યું અને વાહન ચલાવતી વખતે રાખવાની સાવચેતીઓ વિશે માહિતી આપી. ડ્રાઈવરોને ટ્રાફિક સિગ્નલોનું પાલન કરવા, ઓવરટેકિંગ કરતી વખતે ધીરજ રાખવા, ઝડપી અને બેદરકાર ડ્રાઈવિંગથી થતા અકસ્માતોના જોખમો ટાળવા તેમજ વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવા કડક સૂચનાઓ અપાઈ. આ ઉપરાંત, સીટ બેલ્ટ ફરજિયાત બાંધવા અને વાહન પર સંપૂર્ણ નિયંત્રણ રાખવાની કાળજી અંગે પણ સમજાવવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન, વાસ્તવિક ઉદાહરણો દ્વારા અકસ્માતોના કારણો અને તેના ગંભીર પરિણામોની ચર્ચા કરવામાં આવી. આનાથી ડ્રાઈવરોમાં જવાબદાર અને સલામત ડ્રાઈવિંગની ભાવના વિકસે તેવો પ્રયાસ કરાયો. અંતે, તમામ ડ્રાઈવરોને ટ્રાફિક નિયમોનું પાલન કરીને માર્ગ સુરક્ષા જાળવવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. આ કાર્યક્રમ દ્વારા ડેપોના ડ્રાઈવરોમાં માર્ગ સલામતી અંગે સકારાત્મક જાગૃતિ ફેલાઈ હોવાનું જોવા મળ્યું. ભવિષ્યમાં આવા જાગૃતિ કાર્યક્રમો નિયમિતપણે યોજવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
હળવદ પોલીસે કરોડો રૂપિયાના સરકારી જમીન કૌભાંડમાં ધાંગધ્રા પ્રાંત કચેરીના તત્કાલીન બે પટ્ટાવાળાની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓએ બનાવટી હુકમોમાં સિક્કા અને સીલ મારવા માટે મદદ કરી હોવાનો આરોપ છે. પોલીસે તેમના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે. આ કૌભાંડ અંગે હળવદના મામલતદાર અલ્કેશભાઈ પ્રફુલચંદ્ર ભટ્ટ (ઉં.વ. 55) એ ગત 9/11/25 ના રોજ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં રમેશભાઈ બાબાભાઈ કોળી સહિત નવ વ્યક્તિઓ સામે હળવદ તાલુકાના જુદા જુદા ત્રણ ગામોમાં આવેલી સરકારી જમીન પચાવી પાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ ગુનામાં અત્યાર સુધીમાં પોલીસે એક મહિલા સહિત કુલ પાંચ આરોપીઓની અગાઉ ધરપકડ કરી હતી. કૌભાંડના મુખ્ય સૂત્રધાર આરોપી રમેશ બબાભાઈ સાકરીયા (રહે. કોયબા, તા. હળવદ) હાલમાં 9 તારીખ સુધીના રિમાન્ડ પર છે. તેની પૂછપરછ દરમિયાન ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી કચેરીમાં ફરજ બજાવતા ગોવિંદ પોપટભાઈ કુરીયા (રહે. રાજગઢ, તા. ધ્રાંગધ્રા) અને મનસુખ મધાભાઈ કાંટીયા (રહે. ધ્રાંગધ્રા) ના નામ સામે આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું કે આ બંને પટ્ટાવાળાઓએ ખોટા બનાવટી હુકમોમાં રાઉન્ડ સિક્કા અને સીલ મારવા માટે આપ્યા હતા. આથી, ધાંગધ્રા પ્રાંત કચેરીના તત્કાલીન આ બંને પટ્ટાવાળાઓની જમીન કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આરોપીઓએ ગત તા. 26/3/2016 થી 17/7/2020 દરમિયાન હળવદના કોયબા, ઘનશ્યામપુર અને સુંદરીભવાની ગામે રેવન્યુ રેકર્ડ પર ચાલતી સરકારની અલગ અલગ સર્વે નંબરવાળી કુલ 344.27 વીઘા જમીનનું બનાવટી રેકોર્ડ ઊભું કર્યું હતું. તેમણે સરકારી કચેરીના હોદ્દાવાળા બનાવટી રબર સ્ટેમ્પ બનાવી, તેનો ખરા તરીકે ઉપયોગ કરી, સક્ષમ સત્તા અધિકારીઓની ખોટી સહીઓ અને ખોટા હુકમો દ્વારા આ જમીનો પોતાના નામે કરાવીને કૌભાંડ આચર્યું હતું.
ભાવનગર શહેરના અકવાડા વિસ્તારમાં સામું જોવા જેવી નજીવી બાબતે અકવાડા ગામના મુન્ના બારૈયા સાથે વિશ્વદીપસિંહ ગોહિલ નામના શખસે ઝઘડો કરી મૂઢમાર માર્યો હતો, જે અંગે ફરિયાદ થતા ઘોઘારોડ પોલીસે આરોપી વિશ્વદીપસિંહ ગોહિલને ઝડપી પાડયો હતો, તેમજ પોલીસે આરોપીને બનાવ સ્થળ પર લઈ જઈ રિકન્ટ્રક્શન કરાવ્યું હતું અને કાયદાનો પાઠ ભણાવ્યો હતો. સામુ કેમ જુવે છે કઈ મુન્ના બારૈયાને ઢીકા પાટુનો માર માર્યોભાવનગર શહેરમાં આવેલા અકવાડા વિસ્તારમાં રહેતા મુન્ના ઉર્ફે પોપટ આનંદભાઈ બારૈયાને સામે કેમ જુવે છે તેવી નજીવી બાબતે અકવાડામાં રહેતા વિશ્વદીપસિંહ ઉર્ફે ભોલુ ટેમુભા ગોહિલે ઢીકા પાટુ અને પટેથી માર માર્યો હતો, જેને પગલે સમગ્ર ઘટના અંગે તા. 6 ડિસેમ્બરના રોજ ઘોઘારોડ પોલીસમાં મુન્ના બારૈયાએ ફરિયાદ નોંધાવી હતી, જે મામલે ગણતરીના સમયમાં પોલીસે આરોપી વિશ્વદીપસિંહ ઉર્ફે ભોલો ગોહિલને ઝડપી પાડ્યો હતો, ઘોઘારોડ પોલીસે હુમલા પ્રકરણમાં ઝડપાયેલા આરોપી વિશ્વદીપસિંહ ગોહિલને બનાવ સ્થળ પર લઈ જઈ રિકન્ટ્રક્શન કરાવ્યું હતું. તેમજ જાહેરમાં તેને બે હાથ જોડી માફી મંગાવી કાયદાનો પાઠ ભણાવ્યો હતો. કાકા સાથેની માથાકુટમાં ભત્રીજાને માર માર્યોઉલ્લેખનીય છે કે, એકાદ મહિના પહેલાં કાકા સાથે થયેલી માથાકુટની દાઝ રાખી તેના જ ભત્રીજા પર ઉતારી હતી. જેમાં અગાઉ અકવાડા ગામમાં રહેતા વિશ્વદીપસિંહ ગોહિલે રાણાભાઈ દયાળબાઈ સાથે માથાકૂટ કરી હતી. ત્યારે તા. 6 ડિસેમ્બરના રોજ મુન્ના બારૈયા તેના ઘર પાસેની દુકાનમાં સમોસુ ખાવા ગયા તે સમયે આરોપી વિશ્વદીપસિંહ ગોહિલે ત્યાં બાઈક લઈને આવ્યો અને સામે કેમ જુવે છે અને ત્યારબાદ ઝઘડો કરી ઢીકાપાટુ મારમારીને ઈજાઓ પહોંચાડી હતી.
સોમનાથ મંદિરમાં દર્શનાર્થીની તબિયત લથડી:પોલીસે CPR આપી જીવ બચાવ્યો, તાત્કાલિક દવાખાને ખસેડ્યો
સોમનાથ મંદિરમાં એક દર્શનાર્થી યાત્રિકને હાર્ટ એટેક આવતા તેઓ બેભાન થઈ ગયા હતા. આ ઘટના સવારે લગભગ 10:30 વાગ્યા પછી મંદિરના નૃત્ય મંડપના પગથિયાં પાસે બની હતી, જેના કારણે થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફરજ પર હાજર પોલીસ કર્મચારી ભાવસિંહ સિસોદિયા, પી.આઈ. યુ.બી. રાવલ અને સોમનાથ ટ્રસ્ટના સિક્યુરિટી વડા સુરુભા જાડેજા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે સમયસૂચકતા વાપરી યાત્રિકને સીપીઆર (CPR) આપી ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો, જેમાં તેમને સફળતા મળી. ત્યારબાદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગોલ્ફ કાર બોલાવી યાત્રિકને એન્ટ્રી ગેટ સુધી પહોંચાડવામાં આવ્યા. ત્યાંથી તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક દવાખાને ખસેડવામાં આવ્યા. દર્દીને ભાન આવતા તેમણે તેમની નિયમિત દવા લગેજ રૂમમાં હોવાનું જણાવ્યું, જે તુરંત લાવી આપવામાં આવી. સમયસર સીપીઆર અને ત્વરિત સારવારને કારણે તેમની હાલત સ્થિર બની અને તેમનો જીવ બચી ગયો. દર્દીને ભારે પરસેવો છૂટ્યો હોવા છતાં સમયસરની કાર્યવાહીથી તેમની સ્થિતિ સુધરી હતી. ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા અને સોમનાથ મંદિર સુરક્ષા નાયબ પોલીસ અધ્યક્ષ સી.સી. ખટાણાના માર્ગદર્શન હેઠળ સોમનાથ મંદિર સુરક્ષા પોલીસે આ સતર્ક કામગીરી કરી હતી. આ ઘટનાથી ગુજરાત પોલીસનું મેં આઈ હેલ્પ યુ સૂત્ર ફરી એકવાર સાર્થક બન્યું છે.
પોરબંદરમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૬નો પ્રારંભ થયો છે. પોરબંદર પોલીસ અને જે.સી.આઈ. પોરબંદરના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક સલામતી અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુસર વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ માસની ઉજવણી ૧ જાન્યુઆરી, ૨૦૨૬ થી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન સમગ્ર જિલ્લામાં થશે. આ કાર્યક્રમનો ઉદ્ઘાટન સમારોહ ૧ જાન્યુઆરી, ૨૦૨૬ (ગુરુવાર) ના રોજ સાંજે ૪:૩૦ કલાકે જિલ્લા તાલીમ કેન્દ્ર, પોલીસ મુખ્ય મથક, પોરબંદર ખાતે યોજાશે. ઉદ્ઘાટન સમારોહના અધ્યક્ષપદે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર એસ.ડી. ધાનાણી (IAS) ઉપસ્થિત રહેશે. પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજા (IPS) દ્વારા આ કાર્યક્રમ માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. “સીખ સે સુરક્ષા, ટેકનોલોજી સે પરિવર્તન” થીમ અંતર્ગત માર્ગ અકસ્માતો ઘટાડવા, ટ્રાફિક નિયમોની સમજ વધારવા તથા આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા વિવિધ જાગૃતિ કાર્યક્રમો, અભિયાન અને પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. પોરબંદર પોલીસ દ્વારા નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને માર્ગ સલામતીને તેમના જીવનનો અભિન્ન ભાગ બનાવવા માટે અપીલ કરવામાં આવી છે.
ચોટીલામાં સિંગલ યુઝ પ્લાસ્ટિક અને થર્મોકોલ મુક્ત અભિયાન અંતર્ગત નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા, મામલતદાર અને નગરપાલિકાના ચીફ ઓફિસરની સંયુક્ત ટીમે આકસ્મિક દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ 370 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જેની બજાર કિંમત આશરે રૂ. 48,100/- આંકવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે, ગત તા. 11 એપ્રિલ, 2025ના રોજ નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને વેપારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વેપારીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિક અને થર્મોકોલ મુક્ત ચોટીલા અભિયાન અંગે વિગતવાર સૂચનાઓ આપવામાં આવી હતી. વેપારીઓને ભારત સરકારના પર્યાવરણ મંત્રાલયના તા. 4 ફેબ્રુઆરી, 2022ના નોટિફિકેશન નંબર F.NO.B.17011/7/PWM/2022ના ધારાધોરણો અને પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ-1986ની શરતોનું ચુસ્તપણે પાલન કરવા ભારપૂર્વક જણાવાયું હતું. આ બેઠકમાં, 120 માઇક્રોનથી ઓછા માઇક્રોનવાળા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. વેપારીઓએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો નિકાલ કરવા માટે સમયની માંગણી કરતાં, તેમને 31 ડિસેમ્બર, 2025 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. તાજેતરમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન, વિવિધ દુકાનોમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં એસ.આર. મોલના સોહિલભાઈ ચારણીયા પાસેથી 298 કિલો, કરિયાણાના રાહુલભાઈ પંજવાણી પાસેથી 47 કિલો, કરિયાણાના રાજેશભાઈ શેઠ પાસેથી 8 કિલો અને અન્ય દુકાનોમાંથી 17 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત વેપારીઓ દ્વારા નોટિફિકેશનમાં પ્રતિબંધિત સામગ્રીનો સંગ્રહ અને વેચાણ કરવામાં આવતું હોવાનું જણાતા, આ તમામ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે. ભારત સરકાર અને ગુજરાત સરકારના પર્યાવરણ સંબંધિત વિવિધ જોગવાઈઓ અને કાયદાઓના ભંગ બદલ દુકાનધારકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વલસાડ જિલ્લાના વાપી ટાઉનમાં મ્યુલ એકાઉન્ટ કેસમાં આરોપી ફરહાન સલીમ ઘાંચીની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. વાપીના એડિશનલ સેશન્સ જજ એચ.એન. વકીલે સાયબર ફ્રોડમાં બેંક ખાતાનો ઉપયોગ કરવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીની રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, ફરહાન સલીમ ઘાંચી સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 317(2), 317(4), 318(4), 61(2), 3(5) તેમજ આઈ.ટી. એક્ટ-2008ની કલમ 66(સી) અને 66(ડી) હેઠળ ગુનો નોંધાયો હતો. આરોપ છે કે ફરહાને વોન્ટેડ આરોપી ઝૈદ ઉર્ફે સાનુ હનીફ શેખના કહેવાથી પોતાનું કોટક મહિન્દ્રા બેંકનું ખાતું સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાં સગેવગે કરવા માટે આપ્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે, વિવિધ રાજ્યોમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકો પાસેથી છેતરપિંડી કરીને કુલ 5.15 લાખ રૂપિયા ઓનલાઈન જમા કરાવવામાં આવ્યા હતા. આ રકમ રોકડ સ્વરૂપે ઉપાડીને વોન્ટેડ આરોપીને પહોંચાડવામાં આવી હતી. વાપી ટાઉન પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ તેણે જામીન માટે અરજી કરી હતી. જોકે, ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલોને ધ્યાનમાં રાખીને અદાલતે આ અરજી નામંજૂર કરી હતી.
સુરત મહાનગરપાલિકા અને કર્મચારી યુનિયનો વચ્ચેનો ગજગ્રાહ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. તાજેતરમાં મુખ્ય કચેરીમાંથી યુનિયનોની ઓફિસોના કબજા લીધા બાદ, હવે પાલિકા તંત્રે ગલેમંડી વિસ્તારમાં આવેલા અને વર્ષોથી યુનિયનોના તાબામાં રહેલા ઈશ્વર નાયક ભવનને ખાલી કરાવવા માટે ચક્ર ગતિમાન કર્યા છે. પાલિકાએ યુનિયનોને આગામી બે દિવસમાં ભવનનો કબજો સોંપી દેવા અંતિમ અલ્ટીમેટમ આપી દીધું છે. 60 વર્ષ જૂની લીઝ અને શરતોનો ભંગઐતિહાસિક વિગતો મુજબ, ગલેમંડીની આ જગ્યા વર્ષ 1960થી 1965ના સમયગાળા દરમિયાન મ્યુનિસિપલ કર્મચારી યુનિયનોને લીઝ પર ફાળવવામાં આવી હતી. જોકે, પાલિકાના રેકોર્ડ મુજબ આ લીઝની મુદત વર્ષો પહેલા પૂર્ણ થઈ ગઈ છે. શરતો મુજબ લીઝ રીન્યુ કરાવવા માટે જે કાયદેસરની પ્રક્રિયા કરવી જોઈએ, તે યુનિયનો દ્વારા કરવામાં આવી નથી. પરિણામે, લાંબા સમયથી આ ભવનનો ઉપયોગ 'બિનઅધિકૃત' રીતે થઈ રહ્યો હોવાનું પાલિકાના ધ્યાને આવ્યું છે. ડેપ્યુટી કમિશનરની કડક સૂચનાઆ મામલે ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચે ગંભીર નોંધ લઈને સેન્ટ્રલ ઝોન વિભાગને કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. પાલિકા દ્વારા આ પૂર્વે નોટિસ આપીને ખુલાસો માંગવામાં આવ્યો હતો. ગુરુવારે આ નોટિસનો જવાબ આપવાનો છેલ્લો દિવસ હતો પરંતુ, સૂત્રોના જણાવ્યા અનુસાર યુનિયનો તરફથી કોઈ સંતોષકારક કે કાયદેસરનો આધાર ધરાવતો ખુલાસો રજૂ કરવામાં આવ્યો નથી. લીઝની મુદત પૂરી થઈ હોવા છતાં ભવન ખાલી ન કરાયુંતાજેતરમાં જ પાલિકાએ 25 જેટલા કર્મચારી યુનિયનોની માન્યતા રદ કરી છે. લીઝની મુદત પૂરી થઈ હોવા છતાં ભવન ખાલી ન કરાતા તેને બિનઅધિકૃત કબજો ગણવામાં આવ્યો છે. પાલિકાના મુખ્ય ભવન મુગલીસરામાં આવેલી યુનિયનની ઓફિસો અગાઉ જ ખાલી કરાવી સીલ કરી દેવામાં આવી છે. ખુલાસો સંતોષકારક ન હોવાથી હવે કોઈપણ ક્ષણે સેન્ટ્રલ ઝોનનો સ્ટાફ પોલીસ બંદોબસ્ત સાથે ઈશ્વર નાયક ભવનનો કબજો લેવા પહોંચી શકે છે. યુનિયનોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યોપાલિકાના આ આકરા વલણને પગલે યુનિયનના નેતાઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. વર્ષોથી જે ભવન યુનિયનની ગતિવિધિઓનું કેન્દ્ર હતું, તે હવે હાથમાંથી જવાની અણી પર છે. બીજી તરફ, પાલિકા તંત્ર પોતાની મિલકતો પરનો ગેરકાયદે કબજો છોડાવવા માટે મક્કમ દેખાઈ રહ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી SOGની ટીમે સતત 36 કલાક રેડ કરીને એક કે બે નહીં પણ 15 કરોડથી વધુની કિંમતના 3036 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. આ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો છે. આ રેડ સુરેન્દ્રનગરના ઇતિહાસમાં ગાંજાની સૌથી મોટી રેડ માનવામાં આવે છે. એરંડા-કપાસના પાકની આડમાં વાવેતર કરાયેલા લીલા ગાંજાના છોડ તેમજ સૂકો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. કસવાળીમાં દરોડો પાડતા ચોંકાવનારી વિગતો સામે આવીDYSP વી.એમ. રબારીને મળેલી ચોક્કસ બાતમીના આધારે SOG શાખાએ સાયલા તાલુકાના કસવાળી ગામે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં કસવાળીના સંજય તાવીયાની વાડીમાં તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આરોપીએ પોતાની માલિકીની વાડીમાં એરંડા અને કપાસના પાકની આડમાં ગેરકાયદેસર રીતે લીલા ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું. સતત 36 કલાક સુધી રેડ ચાલીપોલીસે વાડીમાંથી 550 નંગ લીલા ગાંજાના છોડ અને મોટા જથ્થામાં સૂકો ગાંજો જપ્ત કર્યો હતો. આ તમામ ગાંજાનું કુલ વજન 3036 કિલો 800 ગ્રામ થયું હતું, જેની અંદાજિત બજાર કિંમત રૂ. 15,18,40,000 આંકવામાં આવી છે. ગાંજાના છોડને ઉખેડવા માટે 12 GRD જવાનોની મદદ લેવામાં આવી હતી. તેમજ સતત 36 કલાક સુધી રેડ ચાલી હતી. ગાંજાનો જથ્થો 3 ટ્રેક્ટરમાં ભરીને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. અન્ય ખેતરમાંથી પણ સવા બે કરોડનો ગાંજો ઝડપાયોઆરોપી સંજય તાવીયાની અટકાયત કરી, ધજાળા પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત કસવાળી ગામમાંથી જ અન્ય ખેતરમાંથી પણ ગાંજો ઝડપાયો હતો. જ્યાં પોલીસે સવા બે કરોડની કિંમતનો ગાંજો ઝડપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગરમાં એક મહિના પહેલા પણ કરોડોનો ગાંજો ઝડપાયો હતો. પહેલા કેસમાં તુવેરના વાવેતરની આડમાં ગાંજાના છોડ મળી આવ્યાંઆ અંગે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ જણાવ્યું કે, ગાંજાના બે મોટા કેસ ઝડપી પાડવામાં આવ્યાં છે. બંને કેસ ધજાળા પોલીસ મથકમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં એક કેસ ધજાળાની લોકલ ટીમ દ્વારા અગાઉ કરવામાં આવ્યો હતો અને બીજો કેસ આજે SOGની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં પહેલા કેસમાં 120 છોડ જેનું વજન 471 કીલો 800 ગ્રામ જેની કિંમત 2,33,90,000 થાય છે. જેનો મુખ્ય આરોપી બાબુ મીઠાપરા કે જેના કસવાળી ગામના ખેતરમાં તુવેરના વાવેતરમાં અંદર આ ગાંજાના છોડ મળી આવ્યા હતા. કુલ 18 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્તવધુમાં જણાવ્યું કે, જ્યારે બીજા કેસમાં કુલ 550 છોડ, જેનું વજન 3036 કિલો 800 ગ્રામ જેની કિંમત રૂ. 15,18,40,000 મળી કુલ રૂ. 18 કરોડથી વધુ કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કેસ પણ કસવાળી ગામના ખેતરમાં થયો છે, જેનો મુખ્ય આરોપી સંજય ભોપાભાઇ છે, આ બંને આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે. વિસ્તારમાં વારંવાર રેડ કરીને પોલીસને ગાંજો ઝડપવામાં સફળતા મળી વધુમાં જણાવ્યું કે, આ લોકો એના બીજ ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને કેવી રીતે એનું વાવેતર કરવામાં આવતું હતું એની તપાસ હાલમાં ચાલુ છે. બંને પોલીસ ટીમો દ્વારા ખુબ જ સરસ કામગીરી કરવામાં આવી છે. આ બંને ટીમોને રૂ. 5100-5100નું ઇનામ પણ આપવામાં આવશે. આ લોકો છોડ પર ગાંજો આવ્યા બાદ એને વેચવાનું કામ કરે છે. આ વિસ્તારમાં વારંવાર રેડ કરીને પોલીસને ગાંજાના વાવેતરના દરોડામાં સફળતા મળી છે, અને એની આગળની તપાસ હાલમાં ચાલુ છે. આ સમાચાર પણ વાંચો સાયલામાંથી કપાસની આડમાં ગાંજાનું વાવેતર, પોણાત્રણ કરોડના છોડ જપ્ત એક મહિના પહેલા સુરેન્દ્રનગરના સાયલામાંથી કપાસની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું હતું. SOGની ટીમે પોણાત્રણ કરોડની કિંમતના છોડ જપ્ત કર્યા હતા. ગાંજાનો મદ્દામાલ કબજે કરવા કોથળા પણ ખૂટી પડ્યા હતા. પોલીસે 559 કિલો વજનના લીલા ગાંજાના 180 છોડ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. SOGની ટીમે સતત 19 કલાક સુધી કામગીરી કરી હતી. અહિ ક્લિક કરીને સંપૂર્ણ સમાચાર વાંચો
અધેળાઈ પાસે અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું મોત:ભાવનગર-અમદાવાદ હાઈવે પર અજાણ્યા ટ્રકે અડફેટે લીધા
ભાવનગર-અમદાવાદ હાઈવે પર અધેળાઈ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં આઠ માસની ગર્ભવતી મહિલા અને તેના ગર્ભમાં રહેલા બાળકનું મોત નીપજ્યું હતું. એક અજાણ્યા ટ્રક ચાલકે મહિલાને અડફેટે લેતા આ દુર્ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, રાતળાવ ગામના વતની કાજલબેન મુન્નાભાઈ રાઠોડ ભાવનગર હોસ્પિટલ ખાતે રૂટિન ચેકિંગ માટે જઈ રહ્યા હતા. અધેળાઈ નજીક તેઓ રોડ સાઈડમાં ઉભા હતા ત્યારે એક અજાણ્યા ટ્રકે તેમને અને તેમના ટુ-વ્હીલરને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ કાજલબેન અને તેમના ગર્ભમાં રહેલા બાળકનું મોત થયું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગરના અડાલજ કેનાલથી ગાંધીનગર મેન રોડ પર આજે ચાલતી કારમાં આગ લાગ્યાની દુર્ઘટના ઘટી હતી. વતન પાટણ જઈ રહેલા રબારી પરિવારની સ્વિફ્ટ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી. લગ્નના સામાન અને રોકડથી ભરેલી કાર જોતજોતામાં રાખ થઈ ગઈ હતી.જોકે ચાલકની સતર્કતાને કારણે બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે. ત્યારે ગાંધીનગર ફાયર બ્રિગેડે. સ્થળ ઉપર પહોંચીને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. ચાલુ કારમાં આગ લાગી, બંને લોકો સમયસૂચકા વાપરી નીચે ઉતરી ગયામળતી વિગત મુજબ આજે પાટણના ડેર લીલાપુર ગામના વતની મયુરભાઈ રબારી તેમના કારીગર સાથે સ્વિફ્ટ ગાડી (GJ-24-BC-7343) લઈને વતન જઈ રહ્યા હતા. મયુરભાઈના મોટાભાઈના લગ્ન હોવાથી ગાડીમાં નવા કપડાં, લગ્નની કંકોત્રીઓ અને મોટી માત્રામાં રોકડ રકમ રાખેલી હતી. ત્યારે તેમને અચાનક ચાલુ ગાડીએ પાછળના ભાગેથી જ્વાળાઓ નીકળતી દેખાઈ હતી. ગાડીમાં આગ લાગી હોવાનું જણાતા જ મયુરભાઈએ સમયસૂચકતા વાપરી કારને તુરંત રોડની સાઈડમાં ઉભી રાખી દીધી હતી. અને બંને વ્યક્તિઓ કારમાંથી નીચે ઉતરી ગયા હતા અને આસપાસથી માટી નાખી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો લગ્ન માટેનો સામાન અને રોકડ સળગી ગઈપરંતુ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી કારને લપેટમાં લઈ લીધી હતી. આ ઘટનાની જાણ થતા જ સેક્ટર-17 ફાયર સ્ટેશન દ્વારા સરગાસણ ફાયર સ્ટેશનને મેસેજ આપવામાં આવ્યો હતો. ફાયરની ટીમ ઘટના સ્થળે રવાના થઈ હતી અને ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે ત્યાં સુધીમાં ગાડી અને તેમાં રહેલો લગ્નનો કિંમતી સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઉલ્લેખનીય છેકે મહેશભાઈ મોહનભાઈ રબારીની માલિકીની આ કારમાં લગ્ન માટેની તમામ તૈયારીઓનો સામાન હતો. એક તરફ પરિવારમાં લગ્નનો પ્રસંગ છે ત્યારે બીજી તરફ આ આગમાં પરિવારને મોટું આર્થિક નુકસાન થયું છે. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાય છે.
મોડાસાની સરસ્વતી વિદ્યાલયના અંગ્રેજી માધ્યમ વિભાગ દ્વારા વર્ષ 2026ના સ્વાગત માટે ભવ્ય ડાન્સ અને ફન ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. વસુધૈવ કુટુંબ કમના વૈશ્વિક સંદેશને કેન્દ્રમાં રાખીને યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શહેરીજનોએ ભારતીય એકતાનો અનુભવ કર્યો હતો. આ કાર્યક્રમ હાર્મોની ટુ ગેધર એન્ડ ફન ફૂડ ફેસ્ટિવલ અન્નપૂર્ણાબેન ત્રિવેદીની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં કે.જી. થી ધોરણ ૫ સુધીના આશરે ૩૦૦ વિદ્યાર્થીઓએ વાલીઓ સાથે મળીને ભારતની વિવિધ સંસ્કૃતિઓ, ભાષાઓ અને પરંપરાઓને દર્શાવતા ૨૫ જેટલા મનમોહક નૃત્યો રજૂ કર્યા હતા. આ નૃત્યો દ્વારા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નો જીવંત સંદેશ મંચ પર પ્રસ્તુત થયો હતો. આ ઉપરાંત, ધોરણ ૬ થી ૯ ના વિદ્યાર્થીઓએ ભારતના વિવિધ રાજ્યોની ઓળખ સમાવતી પરંપરાગત વાનગીઓના ૨૦ જેટલા સ્ટોલ ઊભા કર્યા હતા. વિદ્યાર્થીઓની મહેનત અને સર્જનાત્મકતાથી સજાવેલા આ ફૂડ સ્ટોલમાં વાલીઓ, શિક્ષકો અને ટ્રસ્ટીઓએ ભારતના વિવિધ સ્વાદનો આનંદ માણ્યો હતો. સરસ્વતી વિદ્યાલય વર્ષ દરમિયાન શિક્ષણની સાથે સહપાઠ્ય પ્રવૃત્તિઓ પર વિશેષ ભાર મૂકે છે, જેથી વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે અને તેમનો સર્વાંગી વિકાસ થાય. વર્ષ 2026ના સ્વાગત પ્રસંગે યોજાયેલા આ ભવ્ય આયોજનને વાલીઓ અને શહેરીજનોએ ખૂબ બિરદાવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉમા કેળવણી મંડળના ઉપપ્રમુખ ડૉ. હરિભાઈ પટેલ, મંત્રી રમેશભાઈ ચૌધરી, આચાર્ય વિનોદભાઈ પટેલ અને પિયુષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહેમાનોએ કાર્યક્રમની પ્રશંસા કરી અને સફળ આયોજન બદલ ઇંગ્લિશ મિડિયમ વિભાગના આચાર્ય દુર્ગાબેન ઉપાધ્યાય તેમજ જીનલબેન પટેલ અને જીંકલબેન પટેલને અભિનંદન પાઠવ્યા હતા. સંસ્કૃતિ, એકતા અને ઉત્સાહના સંગમ સાથે સરસ્વતી વિદ્યાલયે વર્ષ 2026નું સ્વાગત કરીને શિક્ષણ સાથે ઉજવણીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે કુરંગા વિસ્તારમાં ઘોડીપાસાના જુગાર પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં જામનગર અને દ્વારકા જિલ્લાના કુલ 24 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે ₹6.70 લાખની રોકડ રકમ સહિત કુલ ₹19.06 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ, સ્થાનિક ગુના શોધક શાખા (LCB) ના પીઆઈ બી.જે. સરવૈયા અને તેમની ટીમે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. LCB ના એએસઆઈ મસરીભાઈ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા, લાખાભાઈ પિંડારિયા અને કુલદીપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. નૂતન વર્ષ પૂર્વે મધ્યરાત્રિના સમયે દ્વારકા તાલુકાના કુરંગા ગામની સીમ વિસ્તારમાં ઘોડીપાસાના જુગારની મહેફિલ ચાલી રહી હતી. પોલીસે આ સ્થળે ઓચિંતો છાપો મારી જુગારીઓને ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે માયા ગોપાલ ધારાણી (કુરંગા), લાખા દલુ ધારાણી (જામનગર), સંજય હરદાસ માતકા (દ્વારકા), સુનિલ કરસન ભાટિયા (જામનગર), સાજણ નાથા મૂન (જામનગર), કચરા ઉર્ફે કિશન લગધીર સંધિયા (જામનગર), પેથા ભીમા મતકા (દ્વારકા), જનક બાબુ પાંડાવદરા (દ્વારકા), જયેશ પ્રવીણ માતંગ (જામનગર), કિશોર ઉર્ફે કિરીટ મનસુખભાઈ ઘુચલા (જામનગર), બાબુ દેવા કનારા (જામનગર), ઉમેશ નાકાભાઈ સુરાણી (સરમત પાટીયા), રાજુ દેવશીભાઈ રવશી (દ્વારકા), પરેશ ઈશ્વરભાઈ મારુ (જામનગર), રાજુ જેવા લઢેર (જામનગર), આસિફ ઉર્ફે ફુલવાલા ઈશા ફુલવાલા (જામનગર), અલ્ફેશ ઈબ્રાહીમ અમરેલીયા (જુનાગઢ), મયુર બુધા ટોયટા (જામનગર), ફારૂક હુશેન ઉડીયા (જામનગર), કલ્પેશ દિલીપ કારીયા (દ્વારકા), અલ્તાફ ઉર્ફે અતુડો સતારભાઇ આંબલીયા (જામનગર), રફીક નુર મહંમદ નુરમામદ શેખ (જામનગર), હનીફ ગફાર કાસ (જામનગર) અને આદમ હુશેન સંધાર (સરમત) સહિત 24 શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાં ₹6,70,200 રોકડ, ₹96,000 ની કિંમતના 17 મોબાઈલ ફોન, ₹11 લાખની કિંમતની ચાર મોટરકાર અને ₹40,000 ની કિંમતના બે મોટરસાયકલનો સમાવેશ થાય છે. કુલ ₹19,06,200 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.આ સમગ્ર કાર્યવાહી એલસીબી પીઆઈ બી.જે. સરવૈયાના વગપણ હેઠળ પીએસઆઈ બી.એમ. દેવમુરારી, વી.એન. શીંગરખીયા, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા, મસરીભાઈ ભારવાડીયા, દિનેશભાઈ માડમ, જેસલસિંહ જાડેજા, લાખાભાઈ પીંડારીયા, કુલદિપસિંહ જાડેજા, જેઠાભાઈ પરમાર, ગોવિંદભાઈ કરમુર, મુકેશભાઇ કેસરીયા, પીઠાભાઈ ગોજીયા, સહદેવસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ અને વિશ્વદિપસિંહ દ્વારા કરવામાં આવી હતી.
અમદાવાદ શહેરમાંથી દારૂ અને જુગારનું દુષણ અટકાવવા PCB દ્વારા વર્ષ 2025માં ખૂબ મોટી કામગીરી કરવામાં આવી છે.સાથે સાથે રીઢા ગુનેગારો અને બુટલેગરોને પણ પાઠ ભણાવવામાં આવી રહ્યો છે જે માટે વર્ષ 2025માં પોલીસ કમિશનરે 1107 રીઢા આરોપીઓને પાસા કરી જુદી–જુદી જેલોમાં રવાના કર્યા છે, જ્યારે 258 માથાભારે તત્વોને અમદાવાદમાંથી તડીપાર કરવામાં આવ્યા છે. એક વર્ષમાં 407 બુટલેગરો ઝડપાયાપોલીસ કમિશનરના સીધા તાબામાં આવતી પીસીબીની ટીમે વર્ષ દરમ્યાન દારૂના 400 કેસ કરી 407 બુટલેગરોને ઝડપી લીધા છે. જ્યારે જુગારના 70 કેસ કરી 245 જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પીસીબીની ટીમે દારૂ અને જુગારનો મળીને કુલ રૂ. 6.57 કરોડનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. આ ઉપરાંત શરૂ થતા વર્ષ 2026માં પણ ગુનેગારો સામે કડક પગલાં લેવામાં આવશે તેવી જાહેરાત કમિશનર ઓફિસ દ્વારા કરવામાં આવી છે. એક વર્ષમાં 1107 ગુનેગારો સામે પાસા કરવામાં આવીઅમદાવાદમાં કેટલાક માથાભારે તત્વો માથું ઊંચકીને ફરી સક્રિય બન્યા હતા. તે સમયે પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા તેમને પાઠ ભણાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. તમામ પોલીસ મથકોમાં માથાભારે તત્વોની યાદી તૈયાર કરવામાં આવી અને તેમના સામે ફરિયાદ નોંધાય કે તરત જ પાસાની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. પીસીબી ઇન્સ્પેક્ટર જે.પી. જાડેજા અને તેમની ટીમે પણ પાસા અને તડીપાર માટેની ઑન-પેપર કામગીરી વેગવંતી બનાવી હતી. જેના પરિણામે વર્ષ દરમિયાન 1107 ગુનેગારોને પાસા કરવામાં આવ્યા હતા, જ્યારે 258 માથાભારે તત્વોને તડીપાર કરી શકાયા હતા. બીજી તરફ પીસીબી ઇન્સ્પેક્ટર જે.પી. જાડેજા અને તેમની ટીમે વર્ષ દરમ્યાન પ્રોહિબિશનના 400 કેસ કરી બુટલેગરોની સ્થાનિકT પોલીસ સાથેની ગોઠવણ ખુલ્લી પાડી 407 બુટલેગરોને ઝડપી લીધા છે. વર્ષ દરમ્યાન રૂ. 5.74 કરોડનો દારૂ ઝડપવામાં આવ્યો હતો. આટલું જ નહીં, પીસીબીની ટીમે જુગારના 70 કેસ કરી 245 જુગારીઓને ઝડપી લઈ તેમની પાસેથી રૂ. 83.63 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે દારૂ અને જુગારનો મળીને કુલ રૂ. 6.67 કરોડનો મુદ્દામાલ ઝડપી લીધો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરમાં વધતા જતા ટ્રાફિક પાર્કિંગ અને એર પોલ્યુશનને લઈને અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી, જેમાં ખાસ કરીને ટ્રાફિકમાં બ્રિજ પ્રોજેક્ટ અને ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, આ વિભાગોના કારણે જ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. ખાસ કરીને બ્રિજ પ્રોજેક્ટના અધિકારીને નરોડા બ્રિજની કામગીરી મુદ્દે ખખડાવ્યા હતા અને શો- કોઝ નોટિસ ફટકારવાની સૂચના આપી હતી. રોડ ઉપર ક્યાંય પણ ખોદકામ કરવામાં આવે તો આખો રોડ બંધ નહીં કરવો પરંતુ, એક લેન બંધ કરી અને બીજી લેન ટ્રાફિક માટે ચાલુ રાખવી તે પ્રકારે સૂચના આપી હતી. ડિઝાઇન સેલ પાસે લેફટ ટર્ન ફ્રી માટે ડિઝાઇન બનાવવાની સૂચના આપી હતીવર્ષ 2026ના પ્રથમ દિવસે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક કરવામાં આવી હતી. શહેરમાં પાર્કિંગ, ટ્રાફિક, ગ્રીનરી, એર ક્વોલીટી અને ક્વોલિટી કામ કરવા ઉપર વધુ ભાર મૂક્યો હતો. શહેરમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ છે, જેને લઈને જંકશન ડેવલોપમેન્ટ કરવા માટેની સૂચના આપી હતી. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો અને દરરોજ એક જંકશન પર લેફ્ટ ટર્ન ખુલે તેના માટેના પ્રયત્ન કરવા જણાવ્યું હતું. ડિઝાઇન સેલ પાસે લેફટ ટર્ન ફ્રી માટે ડિઝાઇન બનાવવાની સૂચના આપી હતી. ટ્રાફિક પોલીસ પાસેથી જેટલા પણ સૂચન મળ્યા છે, તેના ઉપર કામગીરી કરવા જણાવ્યું હતું. શહેરમાં ગ્રીનરી વધારવા માટે પણ કમિશનરે સૂચના આપી હતીશહેરમાં ટ્રાફિક અને પાર્કિંગ મુદ્દે જે પણ બજેટની ફાળવણી કરવાની હોય તે મૂકવા માટે જણાવ્યું હતું અને આ મુદ્દા ઉપર ખાસ ધ્યાન આપવા કહ્યું હતું. બીજી તરફ શહેરમાં ગ્રીનરી વધારવા માટે થઈને પણ કમિશનરે સૂચના આપી હતી ખાસ કરીને 40 લાખ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે પરંતુ, નાગરિકો અને આ વૃક્ષો દેખાતા નથી. જેથી, રોડની વચ્ચે ડિવાઈડર ઉપર અને જ્યાં પણ રોડ ની આજુબાજુ જગ્યા હોય ત્યાં વૃક્ષો લગાવવા માટે જણાવવામાં આવ્યું હતું. બાંધકામ સાઈટ પર ગ્રીન નેટ ન લગાવી હોય તો એક લાખનો દંડ શહેરમાં વધતા જતા પ્રદૂષણને લઈને એર ક્વોલીટી ઇન્ડેક્સ ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનરે કહ્યું હતું કે, શહેરમાં અનેક બાંધકામ સાઈટો પર ગ્રીન નેટ બાંધવામાં આવતી નથી. બાંધકામ સાઈટો પર ગ્રીન નેટ લગાવાવવામાં એ છે કે કેમ તેના ઉપર તપાસ કરવા માટે કહ્યું હતું અને જો ન લગાવી હોય તો એક લાખ રૂપિયાનો દંડ કરવા માટે કહ્યું હતું. સૂચના આપ્યા બાદ પણ જો ન કરવામાં આવે તો મ્યુનિસિપલ કોર્પોરેશન જાતે આવી બાંધકામ સાઈટોને ગ્રીન નેટ લગાવી આપે અને તેનો તમામ ખર્ચો બિલ્ડરો પાસેથી વસૂલવા માટે કહ્યું હતું પરંતુ, પ્રદૂષણ મામલે ક્યાંય પણ બાંધછોડ ન કરવા જણાવ્યું હતું. જો પ્રદૂષણ અત્યારે નહીં રોકો તો તેના માટે તમારા બાળકો ભોગવશે, જેથી એર ક્વોલિટી મામલે સઘન કામગીરી કરવા પણ કમિશનરે કહ્યું હતું. યોગ્ય કામગીરી નહીં કરો તો પગારમાંથી પણ પૈસા કાપી લેવાની ચીમકી કમિશનરે આપી હતીઅમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે કોર્પોરેશનના અધિકારીઓની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, તમે કન્સલ્ટન્ટ ઉપર નિર્ભર રહો છો. કોન્ટ્રાક્ટમાં ટેન્ડરની શરત મુજબ કામ કરાવો કોન્ટ્રાક્ટરને ફાયદો થાય તે મુજબ કામગીરી ન કરો જ્યાં પણ કામગીરી ચાલે છે તેમાં ક્વોલિટી કામગીરી કરાવવા માટેની સૂચના આપી હતી. તમામ કામો ક્વોલિટીવાળા હોવા જોઈએ, જો ટેન્ડરની શરત મુજબ કામગીરી ન થાય તો કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તમામ કામગીરીમાં એક્શન ટેકન રિપોર્ટ મૂકવા માટે પણ કમિશનરે સૂચના આપી હતી. જો રિપોર્ટ નહીં હોય તો ફાઇલમાં સહી નહીં થાય તેમ પણ કહી દીધું હતું. પૂર્વ વિસ્તારમાં કઠવાડા ખાતે બાકી કામગીરી માટે અધિકારીને ખખડાવ્યા હતા. જો યોગ્ય કામગીરી નહીં કરો તો પગારમાંથી પણ પૈસા કાપી લેવાની ચીમકી કમિશનરે આપી હતી.
સાબરકાંઠા જિલ્લાની વિજયનગર પોલીસે પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા દોઢથી ત્રણ વર્ષથી નાસતા ફરતા એક આરોપીને રાણી બોર્ડર પરથી ઝડપી પાડ્યો છે. આ આરોપી ધનસુરા, મોડાસા ગ્રામ્ય અને તલોદ પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ હતો. વિજયનગર પોલીસ સ્ટેશનના પીઆઈ એ.બી. ચૌધરીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આરોપી હરીશભાઈ કાલુરામ પોડોર (રહે. બોસલાટી, પોસ્ટ-ડબાયચા, તા. ખેરવાડા, જિ. ઉદેપુર; હાલ રહે. જોજવા (બરુઠી), તા. બિચ્છીવાડા, જિ. ડુંગરપુર)ને વિજયનગર ત્રણ રસ્તા પરથી બાતમીના આધારે પકડવામાં આવ્યો હતો. હરીશભાઈ પોડોર ધનસુરા પોલીસ સ્ટેશનમાં છેલ્લા નવ માસથી, મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ વર્ષથી અને તલોદ પોલીસ સ્ટેશનમાં છેલ્લા દોઢ વર્ષથી પ્રોહીબિશનના ગુનામાં ફરાર હતો. પોલીસે તેને વિજયનગર પોલીસ સ્ટેશન લાવી ડીટેઈન કર્યો હતો. આગળની કાર્યવાહી માટે આરોપીને ધનસુરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
25 વર્ષથી ફરાર જેલબ્રેક આરોપી હરિયાણાથી ઝડપાયો:નવસારી સબજેલના સળિયા તોડી ભાગ્યો હતો, LCBએ દબોચ્યો
નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ 25 વર્ષથી ફરાર લૂંટ અને આર્મ્સ એક્ટના આરોપી શશીભૂષણ ઉર્ફે પિન્ટુસિંગ રાજપૂતને હરિયાણાના ફરીદાબાદથી ઝડપી પાડ્યો છે. આરોપી વર્ષ 2000માં નવસારી સબજેલમાંથી સળિયા કાપીને ફરાર થયો હતો. આરોપી શશીભૂષણ ઉર્ફે સતભૂષણ ઉર્ફે પિન્ટુસિંગ તપેબહાદુર રાજપૂત (રહે. દેવરિયા, યુ.પી.) 1999માં વલસાડ જિલ્લાના પારડી, ઉમરગામ અને વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટ અને હથિયારધારાના ગુનાઓમાં જેલમાં બંધ હતો. 27 મે, 2000ના રોજ તેણે અન્ય બે સાથીદારો સાથે મળીને નવસારી સબજેલના બાથરૂમની બારીના સળિયા હેક્સો બ્લેડ વડે કાપી નાખ્યા હતા. ત્યારબાદ જેલની કંપાઉન્ડ વોલ પર આવેલી ઇલેક્ટ્રિક ફેન્સિંગ પર ચાદર નાખી, દીવાલ કૂદીને તે ફરાર થઈ ગયો હતો. આ મામલે નવસારી ટાઉન પોલીસ મથકે જેલ ફરારીનો ગુનો નોંધાયો હતો. નવસારી LCBના પીઆઈ એસ.વી. આહીર અને આર.એસ. ગોહિલે છેલ્લા આઠ મહિનાથી આ કેસના કાગળોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. હેડ કોન્સ્ટેબલ લાલુસિંહ અને અવિનાશસિંહે ટેકનિકલ એનાલિસિસ દ્વારા આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું. દરમિયાન, હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ અને મનોજભાઈને બાતમી મળી હતી કે આરોપી હરિયાણાના ફરીદાબાદના પલ્લા વિસ્તારમાં નામ બદલીને રહે છે અને કલર કામ કરીને ગુજરાન ચલાવે છે. બાતમીના આધારે નવસારી LCBની ટીમ હરિયાણા પહોંચી હતી. પોલીસે ઓળખાઈ ન જાય તે માટે ટીમના સભ્યોએ છૂપો વેશ ધારણ કર્યો હતો. ફરીદાબાદના શનિ માર્કેટમાં આરોપી દેખાતા જ પોલીસે તેનો પીછો કરી તેને કોર્ડન કરી લીધો હતો. 25 વર્ષ બાદ આ આરોપી આખરે ઝડપાઈ ગયો છે. હાલ નવસારી પોલીસે આરોપીનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા આરોપી શશીભૂષણ વિરુદ્ધ નીચે મુજબના ગુનાઓ નોંધાયેલા છે:
શું તમે જાણો છો કે આજે તમે તમારી કાર કે બાઈકમાં જે પેટ્રોલ પુરાવો છો, તેની કિંમત વધશે કે ઘટશે તેનો રિમોટ કન્ટ્રોલ ગુજરાતથી 3000 કિમી દૂર યમનના નાના એવા બંદર પર પડેલો છે? જો ખાડી દેશોમાં કોઈ હલચલ થાય તો પેટ્રોલનો ભાવ સીધો લિટરી 150 કે 200 થઈ જાય! વિશ્વનો 12 ટકા વેપાર જે રેડ સીથી થાય છે ત્યાં હુથી બળવાખોરો ડેરો નાખીને બેઠા છે અને જહાજો પર બોમ્બ અને મિસાઈલો વરસાવી રહ્યા છે. જેને રોકવા માટે સાથે લડેલા સાઉદી અરેબિયા અને UAE આજે અલગ પડ્યા છે અને મિસાઈલ છોડી રહ્યા છે. ખાડી દેશો વચ્ચે ફાટી નીકળેલું ગૃહયુદ્ધ આપણે સમજવું એટલા માટે જરૂરી બને છે કારણ કે અરબ દેશમાં 89 લાખ જેટલા ભારતીયો નોકરી, ધંધો કે મજૂરી કરી રહ્યા છે. આ જંગ ન રોકાય તો તેની સીધી અસર તમારા અને મારા ખિસ્સા પર પડી શકે છે. તો વિગતે વાત કરીએ હૂથીઓના ડેરો અને UAE-સાઉદીની લડાઈની... નમસ્કાર.... સૌથી પહેલા વિશ્વના નકશાથી સમજીએ કે ઉથલપાથલ ક્યાં સર્જાઈ છે? ગુજરાતથી 3 હજાર કિમી દૂર તેલનો ભંડાર ધરાવતો આ ખાડી વિસ્તાર છે. જ્યાં બે શક્તિશાળી દેશ સાઉદી અરેબિયા અને UAE છે. હુતીઓ આ રેડસીમાં આતંક મચાવે છે. સાઉદીની નીચે અહીં યમન છે. જેના દક્ષિણ કિનારે મુકાલા બંદર પર સાઉદીએ UAEના જહાજ પર હુમલો કર્યો છે. સામસામે આવેલા દેશો એક સમયે હતા જય-વીરુ વાતની શરૂઆત લાલ સમુદ્ર થી કરીએ. આ એ દરિયો છે જ્યાંથી દુનિયાના મોટા ભાગનો વેપાર પસાર થાય છે. અહીં દાયકાઓથી હૂથી બળવાખોરો ડેરો નાખીને બેઠા છે. ઈરાનના સમર્થનથી ચાલતા આ હૂથીઓએ ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વખતે જહાજો પર એવા હુમલા કર્યા કે આખી દુનિયા ફફડી ઉઠી. તેમને રોકવા માટે સાઉદી અરેબિયા અને UAE એ 2015માં ખભેખભો મિલાવીને વર્ષો સુધી યુદ્ધ લડ્યું. પરંતુ આજે સ્થિતિ એવી છે કે હૂથીઓ તો ત્યાં જ છે, પણ તેમને હરાવવા નીકળેલા રક્ષકો જ એકબીજાના લોહીના તરસ્યા બન્યા છે. આ કારણે ખાડીમાં થઈ ઉથલપાથલ હમણાની જ વાત કરીએ તો 30 ડિસેમ્બર 2025ની રાત હતી. યમનનું અલ મુકાલા બંદર એકદમ શાંત હતું. UAEના ફુજૈરાહથી આવેલા બે જહાજો ચોરીછૂપીથી હથિયારો ઉતારી રહ્યા હતા. સાઉદીની નજરથી બચવા માટે આ જહાજોની રેડાર ટ્રેકિંગ સિસ્ટમ પણ બંધ કરી દીધી હતી. આ હથિયારો કોના માટે હતા? એ હતા સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલ એટલે કે STC સંગઠન માટે, જે યમનના ટુકડા કરવા માંગતું સંગઠન છે અને UAE તેને ટેકો આપે છે. રિયાધથી ઓર્ડર આવ્યો ‘ઉડાવી દો’ પરંતુ સાઉદીના જાસૂસોની નજર તીક્ષ્ણ હતી. ખબર પડી કે કંઈક તો ગરબડ છે. રિયાધથી આદેશ છૂટ્યો – ‘શિપમેન્ટ ઉડાવી દો’. થોડી જ મિનિટોમાં સાઉદી અરેબિયાના અત્યાધુનિક F-15 ફાઈટર જેટ્સે આકાશમાં ગર્જના કરી અને UAEના હથિયારોના જહાજોને રાખમાં ફેરવી દીધા. આ માત્ર હથિયારોનો નાશ નહોતો, પણ સાઉદી અરેબિયાની UAEને સીધી ચેતવણી હતી કે, 'યમન અમારું આંગણું છે, અહીં અમારી મરજી વગર પાંદડું પણ નહીં હલે.' જય-વીરૂની દોસ્તીમાં તીરાડ કેમ પડી? સાઉદી અરબ અને UAEનો આ દ્વેષ રાતોરાત નથી થયો. 2015માં જ્યારે યમનમાં હૂતીઓએ આતંક મચાવ્યો હતો, ત્યારે સાઉદીના ક્રાઉન પ્રિન્સ MBS અને UAEના રાજા MBZ સગા ભાઈઓ જેવા હતા. તેમણે હુથીઓ ધૂળ ચટાડવા ઓપરેશન ડિસાઈસિવ સ્ટોર્મ શરૂ કર્યું. સાઉદી આકાશમાંથી બોમ્બ ફેંકતું અને UAE જમીન પર સૈનિકો ઉતારતું. સાઉદી-UAEની લડાઈમાં હુથીઓ ફાવ્યા પણ 2019માં ખેલ બદલાયો. UAEને સમજાયું કે હૂતીઓને હરાવવા અશક્ય છે. તેમણે પોતાની આંતરરાષ્ટ્રીય છબી સુધારવા અને રૂપિયાનો વેડફાટ રોકવા સેના પાછી ખેંચી લીધી. સાઉદીને લાગ્યું કે મુસીબતના સમયે દોસ્ત (UAE) સાથ છોડી ગયો. UAEએ શાણપણ વાપર્યું, સૈનિકો પાછા બોલાવ્યા પણ STC જેવા સશસ્ત્ર જૂથોને હથિયાર અને આર્થિક મદદ આપવાનું ચાલુ રાખ્યું. જેથી STC સંગઠન યમન સરકાર સામે પણ લડે અને સાઉદી અરેબિયા અને હુથીઓના નાકમાં દમ પણ કરે. આ જ તીરાડ આજે મહાયુદ્ધમાં ફેરવાઈ છે. સમજવા જેવું એ છે કે હૂથી સંગઠન શું છે? અમેરિકા-ઈઝરાયલનું મોત, અલ્લાહ મહાનઃ હુથી સંગઠન હવે હુથી સંગઠન વિશે પણ જાણી લઈએ. યમનમાં હુસૈન અલ હૌથીએ 1990ના દાયકામાં હુથી નામનું સશસ્ત્ર રાજકીય અને ધાર્મિક સંગઠન સ્થાપ્યું હતું. આઈડિયોલોજી શિયા ઈસ્લામિક, એન્ટી અમેરિકન અને એન્ટી ઈઝરાયલી છે. હાલ તેઓ યમનની રાજધાની અને ઉત્તર યમનના મોટા ભાગના વિસ્તારમાં નિયંત્રણ ધરાવે છે. યમનની સરકાર અને સાઉદી અરેબિયાના સાથી દેશો હુથીઓના દુશ્મન છે. તેમને ઈરાનનું સમર્થન છે. ઈઝરાયલ અને હમાસ યુદ્ધ દરમિયાન હુથીઓએ રેડ સીમાંથી પસાર થતાં જહાજો પર હુમલા કર્યા હતા. અને અંતે… દોસ્ત બન્યા દુશ્મન! સાઉદી ઈચ્છે છે કે યમન અખંડ રહે જેથી તેની યમન સાથેની હજારો કિલોમીટરની સરહદ સુરક્ષિત રહે. જેમ રશિયા યુક્રેન બાબતે વિચારે છે. જ્યારે UAE ઈચ્છે છે કે STCના જોરે યમન વિભાજિત થાય અને દક્ષિણ યમનના બંદરો પર તેનું વર્ચસ્વ રહે. આ વર્ચસ્વની લડાઈમાં આજે બે ઈસ્લામિક દેશો આમને-સામને છે. સાઉદીથી આ સહન ન થયું અને… હમણાના સંઘર્ષની શરૂઆત હદ્રામૌત અને અલ મહરા વિસ્તાર માટે થઈ. એસટીસીએ બંને વિસ્તારમાં સૈન્ય કાર્યવાહી કરી. જે સાઉદીને સહન ન થયું. કારણ કે અહીં જ યમનના તેલ ભંડારો આવેલા છે. જો તેને કંઈ થાય તો સાઉદીના વર્ચસ્વને થપાટ કહેવાય. UAEનો પ્લાન દરિયાના રાજા બનવું UAE કહે છે કે તેઓ આતંકવાદ સામે લડવા હથિયાર મોકલે છે. પણ અલ- મુકાલા બંદરે જે હથિયારો ઉડાવવામાં આવ્યા તેમાં ગન કે બારૂદ નહીં, પણ એન્ટી-શિપ મિસાઈલ્સ હતી! શું આતંકવાદીઓ દરિયામાં જહાજો લઈને ફરે છે? ના. એન્ટી-શિપ મિસાઈલનો ઉપયોગ જમીન પરના આતંકવાદીઓ સામે નહીં, પણ દરિયામાં બીજા દેશના જહાજો ડુબાડવા માટે થાય છે. એટલે કે UAEનો અસલી પ્લાન દરિયાઈ માર્ગો પર કબજો કરવાનો હતો. UAE અને સાઉદીની આર્થિક મોરચે લડાઈ સાઉદી અરેબિયાના MBSનું એક જ સપનું છે 'વિઝન 2030'. આ માટે તેમને તેલના ભાવ 80 ડોલરથી ઉપર જોઈએ છે. બીજી બાજુ, UAE પોતાની પ્રોડક્શન કેપેસિટી વધારીને વધુ ને વધુ તેલ વેચવા માંગે છે. આજે 1 જાન્યુઆરી 2026 ના રોજ તેલના ભાવ 60 ડોલરની આસપાસ છે. સાઉદી માટે આ આર્થિક મૃત્યુઘંટ સમાન છે. જ્યારે બે મોટા તેલ ઉત્પાદકો અંદરોઅંદર લડે, ત્યારે માર્કેટમાં અસ્થિરતા આવે અને તેનો સીધો ફાયદો ઈરાન અને હૂતીઓને થાય છે. હવે બંને દેશોની તાકાત જોઈએ... સાઉદી-UAEની ડિફેન્સ તુલના આ ધડાકાથી આપણે શું લેવાદેવા? તાકાતમાં સાઉદી ચડિયાતું છે, પણ UAE પણ ઓછું નથી. તમે વિચારતા હશો કે આ બોમ્બ ધડાકાથી આપણને શું? સાઉદી અને UAE સાથે ગુજરાત અને દેશનું કનેક્શન ગુજરાત માટે આ મુદ્દો અત્યંત સંવેદનશીલ છે. ખાડી દેશોમાં 89 લાખ ભારતીયો વસે છે, જેમાં લાખો ગુજરાતીઓ છે. જો ત્યાં અશાંતિ ફેલાય, તો તેમના પરિવાર અને ત્યાંથી આવતી આવક પર મોટો ફટકો પડશે. ભારત-UAE સંબંધ: UAE આપણું ત્રીજું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે. આપણે હવે દિરહામ અને રૂપિયામાં વેપાર કરીએ છીએ અને UPI પણ ત્યાં શરૂ કરવાના છીએ. UAEમાં અબુ ધાબીનું BAPS હિંદુ મંદિર આપણી સાંસ્કૃતિક મિત્રતાનું પ્રતીક છે. ભારત-સાઉદી સંબંધ: સાઉદી ભારતનો બીજો સૌથી મોટો ક્રૂડ ઓઈલ સ્ત્રોત છે. સાઉદીએ ભારતના મુસ્લીમ ભાઈઓ માટે હજ ક્વોટા વધારીને 2 લાખ કરીને તેણે ભારત સાથેની મૈત્રી મજબૂત કરી છે. ભારત અને ખાડી દેશોનું IMEC Vs ચીનનો BRI રૂટ ભારત માટે સૌથી મોટું જોખમ IMEC એટલે કે ઈન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરીડોર પર છે. વડાપ્રધાન મોદીનો સાઉદી અને UAE સાથે આ ડ્રીમ પ્રોજેક્ટમાં ફાળો છે જેથી ચીનના BRI (બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટીવ)ને ટક્કર આપી શકાય. જો આ બે દેશો યુદ્ધ કરશે, તો ભારતનો આ પ્રોજેક્ટ કાગળ પર જ રહી જશે. સાઉદી અરેબિયા અને UAE બંને ભારતના મિત્રો છે માટે ભારત અત્યારે સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતિમાં છે. અને છેલ્લે….. આ લડાઈ માત્ર તેલ કે જમીનની નથી, પણ અહંકારની છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ બે ભાઈઓ લડે છે, ત્યારે ત્રીજો જ ફાવે છે. અહીં હૂતીઓ અને ઈરાન તે ત્રીજો પક્ષ છે. સવાલ એ છે કે બંને આરબ દેશોની લડાઈમાં દુનિયાનું કેટલું તેલ નીકળી જશે? સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
ચાંદખેડા વિસ્તારમાં રહેતા એક વેપારી સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. વેપારીને વૉટ્સએપ પર મેસેજ કરીને દિવ્યા શર્મા નામની યુવતીએ પોતાની ફોરેક્સ ટ્રેડિંગમાં એક્સપર્ટ હોવાની ઓળખ આપી હતી. જે બાદ વેપારી સાથે થોડો સમય વાતચીત કરીને ફોરેસ્ટ ટ્રેડિંગમાં રોકાણ કરી સારું કમાવવાની લાલચ આપી હતી. સારા નફાની લાલચ આપીને વેપારી પાસેથી 24.64 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. જે બાદ એક પણ રૂપિયાનું પ્રોફીટ આપવામાં આવ્યો નહીં. જેથી વેપારીએ તપાસ કરતા છેતરપિંડી આચરી હોવાનું સામે આવતા વેપારીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. દિવ્યા શર્મા નામની યુવતીએ ફોન કરી વેપારી પાસે રોકાણ કરાવી ચૂનો લગાવ્યોચાંદખેડા વિસ્તારમાં રહેતા 47 વર્ષીય વેપારી છેતરપિંડીનો ભોગ બન્યા છે. જુલાઈ મહિનામાં ટેલીગ્રામ આઇડી અને વ્હોટસએપ નંબર પરથી દિવ્યા શર્મા નામની વ્યક્તિએ વેપારીને મેસેજ કર્યો હતો. ફોરેક્સ ટ્રેડિંગમાં પોતે એક્સપર્ટ હોવાની ઓળખ આપી હતી. તેમજ ફોરેક્સ ટ્રેડિંગ કરશો તો સારો પ્રોફિટ કરાવી આપવાની લોભામણી લાલચ વેપારીને આપવામાં આવી હતી. તેમજ પ્રોફિટ મળ્યા બાદ તેમાંથી 50 ટકા નફામાં ભાગ આપવાની વાત પણ કરવામાં આવી હતી. જે બાદ દિવ્યા શર્મા નામની વ્યક્તિએ વેપારી સાથે થોડા દિવસ સુધી વાતચીત કરી નફાની લાલચ આપી રોકાણ કરવા મજબૂર કર્યા હતા. વેપારીએ વિશ્વાસ રાખી શેર માર્કેટમાં ફોરેક્સ ટ્રેડિંગ કરવા તૈયારી દર્શાવી હતી. જે બાદ વેપારીને ટેલિગ્રામ આઈડી પર એક લિંક મોકલી તેમાં આઈડી પાસવર્ડ એડ કરાવવામાં આવ્યો હતો. Go Market એપ્લિકેશનમાં પાનકાર્ડ અને આધાર કાર્ડની વિગતો પણ એડ કરાવવામાં આવી હતી. જે બાદ વેપારીઓ પાસે અલગ અલગ બેન્ક એકાઉન્ટની વિગતો માંગવામાં આવી હતી. જે બાદ વેપારી જ્યારે Go Market માં રૂપિયા ટ્રાન્સફર કરતા હતા ત્યારે એપ્લિકેશનમાં રૂપિયામાંથી ડોલરમાં કન્વર્ટ થયા હોવાનું બતાવવામાં આવતું હતું. પ્રોફિટના રૂપિયા પરત ન કરી છેતરપિંડી આચરીવેપારીએ દિવ્ય શર્મા નામની યુવતી પર વિશ્વાસ રાખી ઓગસ્ટ મહિનામાં 49 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જે બાદ વેપારીએ રોજના 20 ડોલર ટ્રાન્સફર કરાવી 1600 રૂપિયા ડોપિઝિટ કરવામાં આવ્યા હતા. જે બાદ ટ્રેડિંગમાં નફો કરાવવાની લોભામણી લાલચ આપી કુલ 24.64 લાખ રૂપિયાનું શેર માર્કેટમાં ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરાવી પ્રોફિટના રૂપિયા દિવ્યા શર્મા નામની યુવતીએ પરત કર્યા નહીં. જેથી વેપારીને શંકા જતા તપાસ કરતા છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી વેપારીએ 24.64 લાખની છેતરપિંડીની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
દમણમાં નવા વર્ષના પ્રથમ દિવસે, 1લી જાન્યુઆરીએ પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. 31મી ડિસેમ્બરની ઉજવણી બાદ, બીચ, બજારો અને રસ્તાઓ પર મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના મુંબઈ તરફના પ્રવાસીઓ માટે દમણ હંમેશા લોકપ્રિય સ્થળ રહ્યું છે. નવા વર્ષના પ્રથમ દિવસે કંપનીઓ અને ઓફિસોમાં રજા હોવાને કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી હજારોની સંખ્યામાં પ્રવાસીઓ દમણના દરિયા કિનારે પહોંચ્યા હતા. આના કારણે દમણને જોડતા મુખ્ય માર્ગો પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ગત રાત્રે 31મી ડિસેમ્બરની ઉજવણી કરીને રોકાયેલા અને આજે નવા આવેલા પ્રવાસીઓથી દમણના મુખ્ય પર્યટન સ્થળો જેવા કે જમ્પોર બીચ, લાઈટ હાઉસ બીચ, મોટી અને નાની દમણનો ફોર્ટ વિસ્તાર, સિફેસ જેટી, સમુદ્ર નારાયણ મંદિર, દેવકા ગાર્ડન, નમો પથ અને રામસેતુ બીચ પર ભીડ જોવા મળી હતી. દરિયા કિનારે રેતીમાં પગ મુકવાની પણ જગ્યા ન હોય તેટલી ભીડ જામી હતી. અહીં બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈએ વિવિધ રાઇડ્સ અને વોટર સ્પોર્ટ્સનો આનંદ માણ્યો હતો. યુવાનોમાં જેટ સ્કીઇંગ, પેરાસેલિંગ અને એટીવી રાઈડ્સ પ્રત્યે વધુ આકર્ષણ જોવા મળ્યું હતું. આકાશમાં ઉડતા પેરાશૂટ અને દરિયામાં દોડતી સ્પીડ બોટ્સે વાતાવરણમાં આકર્ષણ ઉમેર્યું હતું. હોટલો અને ખાણીપીણીના સ્ટોલ પર પણ ભારે ભીડ જોવા મળી હતી. વાપી અને ઉમરગામ તરફથી આવતા પ્રવાસીઓ રિક્ષાઓ અને ટેક્સીઓમાં દમણ બસ ડેપો સુધી પહોંચ્યા હતા, અને ત્યાંથી નાઈટ માર્કેટ તથા સિફેસ જેટી સુધીના રસ્તા પર લોકોનો પ્રવાહ અવિરત ચાલુ રહ્યો હતો. આટલી વિશાળ જનમેદની વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દમણ પોલીસ વિભાગ દ્વારા ઠેર-ઠેર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેના કારણે પ્રવાસીઓ સુરક્ષિત રીતે નવા વર્ષની ઉજવણી માણી શક્યા હતા. આ સફળ ઉજવણી બાદ, પ્રશાસન આગામી 14મી જાન્યુઆરીએ લાઈટહાઉસ બીચ પર યોજાનારા 'ઇન્ટરનેશનલ બીચ કાઈટ ફેસ્ટિવલ' માટે તૈયારી કરી રહ્યું છે, જ્યાં સ્પાઈડર મેન અને ડોરેમોન જેવા વિશાળ પતંગો આકાશમાં ઉડતા જોવા મળશે.

29 C