SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

32    C
... ...View News by News Source

પાટણ ભગિની સમાજમાં બ્યુટી પાર્લર વર્ગ શરૂ:આર્ટસ કોલેજની 60 વિદ્યાર્થિનીઓ સ્વરોજગાર માટે તાલીમ મેળવશે

પાટણ ભગિની સમાજ ખાતે આર્ટસ કોલેજની 60 વિદ્યાર્થિનીઓ માટે બ્યુટી પાર્લર વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વર્ગ ઇન્ટર્નશીપ અભ્યાસક્રમના ભાગરૂપે યોજવામાં આવ્યો છે, જેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થિનીઓને સ્વરોજગાર માટે સક્ષમ બનાવવાનો છે. ભગિની સમાજ 1968થી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. સંસ્થાના ટ્રસ્ટી લ્યુનાબેન દેસાઈ, પ્રમુખ વાલીબેન પટેલ અને મંત્રી ડો. લીલાબેન સ્વામીની પ્રેરણાથી આ પ્રવૃત્તિઓ વેગવાન બની રહી છે. વર્તમાન સમયમાં સરકારી નોકરીઓની તકો ઓછી હોવાથી, પાટણ યુનિવર્સિટી અને સરકારના માર્ગદર્શન હેઠળ સ્વરોજગારીને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને, પાટણ આર્ટસ કોલેજમાં ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે આ પહેલ કરવામાં આવી છે. આર્ટસ કોલેજના આચાયા ડૉ. રીયાબેન પારેખ અને પ્રો. ભાવનાબેન પટેલે ઇન્ટર્નશીપ અભ્યાસક્રમ અંતર્ગત બ્યુટી પાર્લર વર્ગ શરૂ કરવા માટે ભગિની સમાજની પસંદગી કરી હતી. આ વર્ગમાં 60 વિદ્યાર્થિનીઓ કુલ 120 કલાકનું બ્યુટી પાર્લરનું જ્ઞાન મેળવશે. બ્યુટી પાર્લર વર્ગના પ્રારંભ પ્રસંગે ભગિની સમાજ સલાહકાર સમિતિના સભ્ય મનોજ પટેલે જણાવ્યું હતું કે, કોલેજની વિદ્યાર્થિનીઓ આ જ્ઞાન મેળવી આત્મનિર્ભર બનશે. તેમણે વિદ્યાર્થિનીઓને એકાગ્રતાથી વર્ગનો લાભ લઈ કારકિર્દી બનાવવા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે ભગિની સમાજના પ્રમુખ વાલીબેન પટેલે સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ વિશે જાણકારી આપી હતી, જ્યારે નલિનીબેન માને દ્વારા વિદ્યાર્થિનીઓને બ્યુટી પાર્લરનું મહત્વ અને તેનાથી ઊભી થતી રોજગારી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે આર્ટસ કોલેજના પ્રો. ભાવનાબેન, દક્ષાબેન, કોમલબેન, હેમલતાબેન અને જયપ્રકાશભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુટી પાર્લર વર્ગના પ્રોજેક્ટ ચેરમેન જાગૃતિબેન પ્રજાપતિ અને પ્રો. ભાવનાબેન પટેલે વર્ગ અંગે માહિતી આપી હતી, અને ભગિની સંસ્થાના મનીષાબેન ઠક્કરે ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 12:45 pm

જામનગર મનપાને વિકાસના કામો માટે રૂ. 85 કરોડની ગ્રાન્ટ મળી:મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ચેક અર્પણ કર્યો, અન્ય 7 મહાનગરપાલિકાઓને પણ રકમ ફાળવાઈ

જામનગર મહાનગરપાલિકાને શહેરના વિવિધ વિકાસ કાર્યો માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 85 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરમાં આ ગ્રાન્ટનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આઠ મહાનગરપાલિકાઓના વિકાસ કાર્યો માટે કુલ રૂ. 2800 કરોડની ગ્રાન્ટ ફાળવવાના કાર્યક્રમ અંતર્ગત જામનગરને આ રકમ મળી છે. ગાંધીનગરના ઓડા ઓડિટોરિયમ હોલ ખાતે આયોજિત ચેક અર્પણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈ અને રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા. જામનગર મહાનગરપાલિકા વતી આ કાર્યક્રમમાં મેયર વિનોદ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, શાસક પક્ષના નેતા આશિષ જોષી અને દંડક કેતન નાખવા હાજર રહ્યા હતા. તેમની સાથે મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 12:37 pm

કંપનીમાં મગર આવી જતા દોડધામ મચી:વડોદરા - ડભોઇ રોડ પર આવેલ કંપનીમાં 5.5 ફૂટનો મગર આવી ચડ્યો, કર્મચારીઓમાં ભયનો માહોલ, ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરાયો

વડોદરા - ડભોઇ રોડ પર આવેલ જી એમ પેકેજીંગ કંપનીમાં ગઈકાલે મોડી રાત્રે5.5 ફૂટનો મગર આવી ચડ્યો હતો. જેને પગલે કંપનીના કર્મચારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જીવદયા પ્રેમીઓ અને વન વિભાગની ટીમને મળીને મગરને રસ્ક્યુ કર્યો હતો અને મગરને વન વિભાગ ખાતે લઈ જવાયો હતો વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારે જણાવ્યું હતું કે, અમારી હેલ્પ લાઈન નંબર પર રાત્રિના સમયે ડભોઇ રોડ પર આવેલ જી એમ પેકેજીંગ કંપનીમાં અંદર એક મગર આવી ગયો છે. આ ફોન આવતાની સાથે જ અમારી સંસ્થાના સેક્રેટરી યુવરાજસિંહ રાજપુત અને સંસ્થાના કાર્યકર અને વડોદરા વન વિભાગના અધિકારી જીગ્નેશભાઈ પરમારને લઈને ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જોતાની સાથે એક 5.5 ફૂટનો મગર કંપનીના ગેટ પાસે જોવા મળ્યો હતો આ મગરને અડધો કલાકની ભારે જહમત બાદ રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગ ખાતે લઈ જવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જોકે, આજે વિશ્વામિત્રી નદીમાં 400થી વધુ મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે. મગર શેડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી 4 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે. નદી કિનારે શું સાવચેતી રાખવી? નદી કે તળાવમાં મગર હોય તો ત્યાં જવું નહીં કપડા-વાસણ ધોતા નજર પાણી સામે રાખવી નદી તરફ પીઠ રાખીને કપડા-વાસણ ન ધોવા નદીમાં એકલા ન જવું, મોટરથી પાણી ખેંચવું ઢોરને પાણી પીવડાવવા 1 ફૂટથી આગળ ન જવું વનવિભાગનો સંપર્ક કરી સાવચેતીના બોર્ડ મૂકવા

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 12:19 pm

છેતરપિંડીના કેસના આરોપીને જામીન રકમ ઘટાડી મુક્ત કરાયો:કોર્ટે આરોપીની નબળી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખી રકમમાં ફેરફાર કર્યો, 22 દિવસ વધુ જેલમાં રહ્યો

પાટણની સેશન્સ કોર્ટે હારીજના ડમ્પર ઠગાઈ કેસના એક આરોપીને તેની નબળી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને જામીનની રકમમાં ફેરફાર કર્યો છે. આરોપી ઉમેશ રમુગા બિગાન પ્રસાદને અગાઉ રૂ. 25,000ના જામીન પર મુક્ત કરવાનો આદેશ થયો હતો, પરંતુ પૈસાના અભાવે તે 22 દિવસ વધુ જેલમાં રહ્યો હતો. હવે તેને રૂ. 10,000ના જામીન પર મુક્ત કરવાનો હુકમ કરાયો છે. આ કેસ હારીજ પંથકના બે વ્યક્તિઓ પાસેથી રૂ. 29,36,400 અને રૂ. 28,49,200ની કિંમતના બે ડમ્પરો વેચાણ રાખી, તેના પૈસા કે વાહનો પરત ન આપીને છેતરપિંડી કરવા અંગેનો છે. આ મામલે અજય કહાર અને ઉમેશ રમુગા બિગાન પ્રસાદ (ઉંમર 47, હાલ ગોરવા, મૂળ બિહાર) વિરુદ્ધ હારીજ પોલીસ મથકે 3 સપ્ટેમ્બર, 2025ના રોજ B.N.S. 316(2), 54 હેઠળ ગુનો નોંધાયો હતો. ઉમેશ રમુગા બિગાન પ્રસાદની 8 ઓક્ટોબર, 2025ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેણે જામીન અરજી કરતા પાટણની સેશન્સ કોર્ટે 24 નવેમ્બર, 2025ના રોજ તેને રૂ. 25,000ના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, આરોપી ગરીબ વર્ગનો હોવાથી તે સમયે તેની પાસે જામીન અને પૈસાના અભાવે તે મુક્ત થઈ શક્યો નહોતો. આથી, તેણે ફરી જામીન અરજી કરી હતી. કોર્ટે નોંધ્યું કે, આરોપી બિહારનો હોવાથી જામીન પર મુક્ત કરાય તો તે નાસી છૂટવાની શક્યતા છે, જેનાથી કેસની ટ્રાયલ વિલંબમાં પડી શકે છે, તેમ છતાં, આરોપીની નબળી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને, કોર્ટે અગાઉના રૂ. 25,000ના જામીનના હુકમમાં ફેરફાર કરીને તેને રૂ. 10,000ના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 12:18 pm

સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટમાં PM હાજર રહે તેવી સંભાવના:મારવાડી યુનિ.માં કાર્યક્રમ સમયે લાઇટ ન જાય તે માટે ઉર્જા વિભાગ ઊંધા માથે; ડિસેમ્બરના અંતમાં પ્લાન ફાઇનલ થશે

રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં 10થી 12 જાન્યુઆર, 2026 દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે. આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંભવત: હાજર રહેવાના છે, ત્યારે તેને લઈને તમામ વિભાગો પૂરજોશમાં તૈયારીઓમાં લાગી ગયા છે. PGVCL સામે સૌથી મોટો પડકાર વીજ પુરવઠો ન ખોરવાય તે માટેનો છે. જે માટે એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ ડિપાર્ટમેન્ટના અધિક મુખ્ય સચિવ હૈદર તેમની ટીમ સાથે મારવાડી યુનિવર્સિટીની સ્થળ વિઝિટ કરી ચૂક્યા છે. આ સાથે જ આ સમિટમાં ઉર્જા વિભાગમાં ગ્રીન ઇકો સિસ્ટમ અને રિન્યુએબલ એનર્જી એટલે કે, સૂર્ય આધારિત ઝીરો કાર્બન મેથડથી પાવર જનરેટ અંગે લોકોને જાગૃત કરવામાં આવશે. કાર્યક્રમને લઈ રાજ્યના અધિક મુખ્ય સચિવની બેઠકPGVCLના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્ર-કચ્છ વાઇબ્રન્ટ સમિટ-2026 રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાનાર છે. જેના માટે સમગ્ર માર્ગદર્શન પૂરું પાડવા માટે રાજ્યના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદર તેમની ટીમ સાથે અહીં આવ્યા હતા. જેમાં કાર્યક્રમ કઈ જગ્યાએ રહેશે? ઉદ્ઘાટન સમારોહ કઈ જગ્યાએ હશે? પાર્કિંગ ક્યાં થશે? કેટલા લોકો આવશે? એક્ઝિબિશન હોલ કઈ જગ્યાએ હશે? ડે બાય ડેની મૂવમેન્ટ અને ઉર્જા વિભાગને લગતા સેમીનાર થશે, જે અંગે મારવાડી યુનિવર્સિટીના પ્રોપરાઇટર અને ડીન સાથે બે કલાકથી મેરેથોન બેઠક કરવામાં આવી હતી. જેમાં GIDC, GSPL સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. વીજ પુરવઠો ન ખોરવાય તેના માટે ખાસ આયોજનતેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં સંભવત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેવાના હોવાથી વીજ પુરવઠો ન ખોરવાય અને અવિરત વીજ પ્રવાહ ચાલુ રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કયા કયા ફીડરમાંથી વીજ કનેક્શન આપવું તેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પીજીવીસીએલના ટેકનિકલ સ્ટાફને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. ગ્રીન ઇકો સિસ્ટમ અને રિન્યુએબલ એનર્જીના સાત ટોપીક પર સેમીનારઉર્જા વિભાગમાં ગ્રીન ઇકો સિસ્ટમ અને રિન્યુએબલ એનર્જી એટલે કે, સૂર્ય આધારિત ઝીરો કાર્બન મેથડથી પાવર જનરેટ કરવામાં આવે છે, તેને વધુમાં વધુ પ્રમોશન મળે. તેમજ વધુમાં વધુ લોકો અવગત થાય અને એક્ઝિબિશનનો લાભ લે તે મુદ્દા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ એક્ઝિબિશન દરમિયાન અલગ-અલગ સાત ટોપીક ઉપર સેમીનાર રાખવામાં આવશે. જેમાં ઉર્જા વિભાગ સાથે સંકળાયેલા લાભાર્થીઓ, વીજ પ્રોડક્શન કરતા પ્રોડ્યુસરો અને માર્કેટ કરતા હોય તેવા સપ્લાયરો પણ વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેશે. ડિસેમ્બરના અંતમાં ફાઈનલ પ્લાન તૈયાર થશેસેમિનાર માટે જુદા જુદા વિષયના એક્સપર્ટ અને સામેનું ઓડિયન્સ તેમજ કી-પોઇન્ટ ડિસ્કશન અંગે એન્કર ઓફિસરોની રચના થઈ છે. જે અંગે અધિક મુખ્ય સચિવ અને GUVNLના મેનેજિંગ ડિરેક્ટરના માર્ગદર્શનમાં સમીક્ષા થઈ રહી છે. ડિસેમ્બર માસના અંતમાં ફરી વખત અધિક મુખ્ય સચિવ રાજકોટની મુલાકાત લેશે અને ફાઇનલ પ્લાન તૈયાર થશે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 12:16 pm

માળિયામાં ચાર પદયાત્રીને કચડનાર ટ્રકચાલક સામે ફરિયાદ:કચ્છ પાસિંગના બેફામ ટ્રકે દ્વારકાધીશના દર્શને જતાં સંઘને ઉડાડ્યો હતો, ઈજાગ્રસ્તની ફરિયાદ બાદ આરોપીની શોધખોળ

માળીયા-જામનગર હાઈવે રોડ પર ચાચાવદરડા ગામ નજીક એક ગમખ્વાર અકસ્માતમાં ચાર પદયાત્રીઓના મોત થયા હતા. શિવમ હોટલ અને પેટ્રોલ પંપ સામેથી દ્વારકા જઈ રહેલા પાંચ પદયાત્રીઓને એક ટ્રક કન્ટેનરના ચાલકે હડફેટે લીધા હતા, જેમાં ચારના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા અને એક વ્યક્તિ ઘાયલ થયા હતા. આ બનાવ અંગે માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ અકસ્માત વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના નવા દિયોદરના રહેવાસી નરસંગભાઈ સગથાભાઈ ચૌધરી (ઉંમર 51) દ્વારા નોંધાવવામાં આવ્યો હતો. તેઓ નવા દિયોદરથી દ્વારકા સુધીની પદયાત્રામાં કુલ 11 પદયાત્રીઓ અને વાહનમાં 2 વ્યક્તિઓ સહિત 13 લોકો સાથે નીકળ્યા હતા. મોરબી જિલ્લામાં માળીયા-જામનગર હાઈવે રોડ પર ચાચાવદરડા ગામ પાસે શિવમ હોટલ અને પેટ્રોલ પંપ સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. ટ્રક કન્ટેનર નંબર GJ 12 BV 9649ના ચાલકે ફરિયાદી સહિત પાંચ પદયાત્રીઓને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં હાર્દિકભાઈ માલાભાઈ ચૌધરી (ઉંમર 30), દિલીપભાઈ રાયાભાઈ ચૌધરી (ઉંમર 28), અમરાભાઈ લાલજીભાઈ ચૌધરી (ઉંમર 62) અને ભગવાનજીભાઈ લાલજીભાઈ ચૌધરી (ઉંમર 68), જેઓ બધા નવા દિયોદરના રહેવાસી હતા, તેમને માથા અને શરીર પર ગંભીર ઈજાઓ થતા તેમનું મોત નીપજ્યું હતું. ફરિયાદી નરસંગભાઈને પણ શરીરે ઈજાઓ થઈ હતી, જેથી તેમને મોરબીના શનાળા રોડ પર આવેલી ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર લીધા બાદ તેમણે આ બનાવ અંગે માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ટ્રક કન્ટેનરના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અકસ્માત સર્જીને સ્થળ પરથી નાસી છૂટેલા ટ્રક ચાલક સામે ગુનો નોંધીને તેને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 12:16 pm

રૂ.1500 લઈ યુવતી સગીર પ્રેમી સાથે ઝારખંડથી ભરૂચ પહોંચી:પ્રેમી સાથે ઝઘડો થતાં ગોલ્ડન બ્રિજ તરફ જવા નીકળી; RPF જવાને સખી સેન્ટર મોકલતા પરિવાર સાથે મિલન

ઝારખંડની એક યુવતી રૂ.1500 લઈ તેના સગીર પ્રેમી સાથે ઘર છોડીને ભરૂચના અંકલેશ્વર સુધી પહોંચી હતી. જ્યાંથી બન્ને ભરૂચ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં નાની બાબતે બોલાચાલી થતાં યુવતી ગોલ્ડન બ્રિજ તરફ જવા નીકળી હતી. તે દરમિયાન RPF જવાનને શંકા જતા તેણે યુવતીની પૂછપરછ કરી હતી. જે બાદ તેને સખી સેન્ટર મોકલી હતી. જ્યા સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે કાઉન્સિલિંગ કરીને અંતે યુવતીનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. આ અંગે મળતી માહિતી મુજબ, ઝારખંડની એક યુવતીને છ મહિના પહેલા સોશિયલ મીડિયા મારફતે ઝારખંડના જ એક સગીર સાથે મિત્રતા થઈ હતી. ધીમે ધીમે આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી, પરંતુ બંનેના પરિવારોએ આ સંબંધ સ્વીકાર્ય કર્યો ન હતો. જેથી બંનેએ ઘર છોડીને ભાગી જવાનો નિર્ણય કર્યો હતો. યુવતીએ પોતાની કોલેજ ફીની રકમમાંથી રૂ. 1500 અને સગીરે તેની માતા પાસેથી જેકેટ લેવાના બહાને રૂ. 1000 લઈને 11 ડિસેમ્બરના રોજ ટ્રેન મારફતે અંકલેશ્વર પહોંચ્યા હતા. અંકલેશ્વરમાં રહેવા માટે મકાન શોધતા સમયે મકાન માલિકે ઓળખપત્ર માંગતા તેઓ ભાગીને આવ્યા હોવાની શંકા ઉભી થતાં મકાન ભાડે મળ્યું ન હતું. આ દરમિયાન બંને ભરૂચ રેલવે સ્ટેશન પર હતા, ત્યારે નાની બાબતે થયેલી બોલાચાલીમાં યુવતી ભાવનાત્મક રીતે તૂટી ગઈ અને ગોલ્ડન બ્રિજ તરફ જવા નીકળી હતી. તે સમયે ત્યાં હાજર આરપીએફના પોલીસ જવાને સમયસૂચકતા દાખવી યુવતીને અટકાવી પોલીસ મથકે લાવી હતી. જ્યાં પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોલીસ દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇન મારફતે યુવતીને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મોકલવામાં આવી હતી. અહીં સેન્ટરની સંયોજિકા વૈશાલી ચાવડા અને તેમની ટીમે સંવેદનશીલ કાઉન્સિલિંગ કરી યુવતીનો વિશ્વાસ જીત્યો હતો. કાઉન્સિલિંગ દરમિયાન યુવતીએ સમગ્ર હકીકત જણાવતાં તેની માતાનો સંપર્ક નંબર આપ્યો હતો. ત્યારબાદ સેન્ટરની ટીમે તરત જ માતા-પિતાનો સંપર્ક કરી તેમની પુત્રી સંપૂર્ણ સલામત હોવાનું જણાવતાં તેઓ ઝારખંડથી તાત્કાલિક ભરૂચ આવી પહોંચ્યા હતા. ભરૂચ પહોંચીને પોતાની વ્હાલસોયી પુત્રીને સલામત જોઈ માતા-પિતાની આંખોમાં આનંદના આંસુ છલકાયા હતા. તેમણે સખી વન સ્ટોપ સેન્ટર, તેની ટીમ અને ગુજરાત પોલીસનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. આ અંગે સખીવન સ્ટોપ સેન્ટરના સંચાલક વૈશાલી ચાવડાએ જણાવ્યું હતું કે, આ યુવતીને 15 મી ડિસેમ્બરના રોજ રેલવે પોલીસે 181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા અહીંયા મોકલવામાં આવી હતી. અમે તેનો વિશ્વાસ જીતી તેનું કાઉન્સિલિંગ કર્યું હતું. તે સમયે તેણે જણાવ્યું હતું કે, છ મહિના પહેલા તેની સગીર પ્રેમી સાથે સોશિયલ મીડિયા પરથી ઓળખાણ થઈ હતી. ત્યારબાદ તેમના માતા પિતાએ વાતચીત કરવાની ના પાડી હતી એટલે અમે નક્કી કર્યું હતું કે, આપણે ઘર છોડીને નીકળી જઈએ જેથી તેઓ તેમના ઘરેથી નીકળી અંકલેશ્વરમાં કામ મળી રહશે તે આશ્રયથી અહીંયા પહોંચ્યા હતા. ત્યારે રેલવે સ્ટેશન પર પોલીસને શંકા જતા તેમની આઇડી માગતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. ત્યાર બાદ તેને અહીંયા મોકલવામાં આવી હતી. તેનાં કાઉન્સિલિંગ બાદ યુવતી પાસે તેની માતાનો નંબર મેળવી તેમનો સંપર્ક કરી તેમને અહીંયા તેને લેવા માટે બોલાવ્યા હતા. આજે તેમની પુત્રી તેમને સોંપવામાં આવી હતી. આ ઘટના ફરી એકવાર સોશિયલ મીડિયાના અંધ વિશ્વાસ અને ભાવનાત્મક નિર્ણયોથી થનારા જોખમો તરફ સમાજનું ધ્યાન દોરે છે. સાથે જ, મુશ્કેલીમાં મુકાયેલી દીકરીઓ માટે સખી વન સ્ટોપ સેન્ટર જેવી સંસ્થાઓ કેટલીઘણી મહત્વની ભૂમિકા ભજવે છે તેનું જીવંત ઉદાહરણ પણ બની છે. સોશિયલ મીડિયાના ગેરવપરાશથી ઊભી થતી સંવેદનશીલ પરિસ્થિતિ વચ્ચે ભરૂચની સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે માનવતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 12:02 pm

મોરબીના રંગપર નજીક ટ્રકની ટક્કર:નાસ્તો લેવા જઈ રહેલા યુવાનનું ઘટનાસ્થળે મોત

મોરબીના રંગપર ગામ નજીક જેતપર રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નાસ્તો લેવા જઈ રહેલા એક યુવાનને ટ્રકે હડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવ ગત તા. 16 ડિસેમ્બરના રોજ સાંજે 4:30 વાગ્યાના અરસામાં બન્યો હતો. મૃતક યુવાનની ઓળખ કરમસિંગ રાજુભાઈ પરમાર (ઉં.વ. 20) તરીકે થઈ છે, જે મૂળ દાહોદ જિલ્લાના વતની હતા અને હાલ મોરબીના રફાળેશ્વર ગામ પાસે આનંદ લોડર વર્કશોપમાં મજૂરી કામ કરતા હતા. તેઓ સિરામિક કારખાનામાં પોતાની પત્ની અને ત્રણ સંતાનો સાથે રહેતા હતા. પ્રાથમિક માહિતી મુજબ, કરમસિંગ પરમાર પોતાના બાઈક (GJ 10 CB 0383) પર કારખાનામાંથી નાસ્તો લેવા બહાર નીકળ્યા હતા. તે જ સમયે, ટ્રક નંબર RJ 7 GE 4713 ના ચાલકે તેમના બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કરમસિંગને માથામાં અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટનાસ્થળે જ અવસાન થયું હતું. આ ઘટના અંગે મૃતક યુવાનના પિતા રાજુભાઈ મોતીભાઈ પરમાર (ઉં.વ. 44)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપી ટ્રક ચાલકને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક કરમસિંગ પરમારને બે દીકરી અને એક દીકરો એમ કુલ ત્રણ સંતાનો છે. આ અકસ્માતમાં પિતાનું અવસાન થતા તેમના ત્રણ સંતાનોએ નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 12:00 pm

શિંગોડા ડેમ કેનાલ સફાઈમાં ખેડૂતોનો 'નામ પૂરતી'નો આક્ષેપ:15 લાખના ટેન્ડર છતાં સિંચાઈ વિભાગે આક્ષેપો નકાર્યા, કામ ચાલુ રહેશે

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આવેલા શિંગોડા ડેમની કેનાલ સફાઈ કામગીરી વિવાદમાં સપડાઈ છે. આ ડેમમાંથી નીકળતી આશરે 45 કિલોમીટર લાંબી કેનાલ દ્વારા તાલુકાના 16 ગામોની લગભગ 1200 હેક્ટર ખેતીલાયક જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ કેનાલની સફાઈ માટે સિંચાઈ વિભાગ દ્વારા 15 લાખ રૂપિયાનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે. જોકે, આ મહત્વપૂર્ણ કામગીરીને લઈને ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે હરભોલે બિલ્ડીંગ એન્ડ કન્સ્ટ્રક્શન એજન્સી દ્વારા કરવામાં આવી રહેલી કેનાલ સફાઈ માત્ર નામ પૂરતી અને ઉપરછલ્લી છે. ખેડૂતોના મતે, કેનાલના અંદરના ભાગમાં ભરાયેલો કાદવ, ઝાડી-ઝાંખરા અને કચરો યોગ્ય રીતે દૂર કરવામાં આવ્યો નથી. જેના કારણે આગામી સિંચાઈ સિઝનમાં પાણીની વહેંચણી પર ગંભીર અસર થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે 15 લાખ જેવી મોટી રકમ ખર્ચ થવા છતાં જમીન પર તેનું સ્પષ્ટ પરિણામ દેખાતું નથી. કેટલાક ખેડૂતોએ તો કામ ફક્ત કાગળ પર જ દર્શાવવામાં આવી રહ્યું હોવાનો અને ટેન્ડરની રકમનો યોગ્ય ઉપયોગ ન થતો હોવાનો આક્ષેપ કર્યો છે. વધુમાં, કેનાલ સફાઈ મજૂરો દ્વારા કરવાને બદલે કેટલાક સ્થળોએ જેસીબી જેવા સાધનોનો ઉપયોગ થઈ રહ્યો છે, જેનાથી કેનાલને નુકસાન થવાની શક્યતા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. કેટલાક ગામોના સરપંચો અને આગેવાનો પણ ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે. બીજી તરફ, આ સમગ્ર મુદ્દે સિંચાઈ વિભાગે ખેડૂતોના આક્ષેપોને નકારી કાઢ્યા છે. વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર વિવેક રાઠોડે જણાવ્યું હતું કે, કેનાલ સફાઈની કામગીરી નિયમો અને માર્ગદર્શિકા મુજબ જ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે કામગીરી હજી પૂર્ણ થઈ નથી અને આગામી 20 દિવસ સુધી સફાઈ કાર્ય ચાલુ રહેશે. વિભાગે વધુમાં જણાવ્યું કે કામ તબક્કાવાર ચાલી રહ્યું છે અને જ્યાં ક્યાંય ખામી જણાશે ત્યાં તાત્કાલિક સુધારા કરવામાં આવશે. સિંચાઈ વિભાગનો દાવો છે કે સફાઈ પૂર્ણ થયા બાદ પાણીનું વહેણ સરળ બનશે અને તમામ 16 ગામોના ખેડૂતોને પૂરતું પિયત પાણી મળશે. જોકે, જો સમયસર અને યોગ્ય રીતે કેનાલની સફાઈ ન થાય તો શિંગોડા ડેમનું પાણી અંતિમ છેડા સુધી ન પહોંચવાની શક્યતા છે, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે. તેથી ખેડૂતો અને સ્થાનિક લોકો પારદર્શક કામગીરી અને જાહેર દેખરેખની માંગ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 11:55 am

પંચમહાલના રિછવાણીમાં SMCએ ₹16.38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો:4 આરોપીઓની અટકાયત, દારૂબંધી ભંગનો ગુનો દાખલ

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રિછવાણી ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દરોડો પાડીને ₹16.38 લાખનો વિદેશી દારૂ અને અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. નવા વર્ષની ઉજવણી પહેલાં દારૂની હેરાફેરી અટકાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં ચાર આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલને ચોક્કસ બાતમી મળી હતી કે, રિછવાણી ગામનો બાબુભાઈ ઉર્ફે બાબુ ચોટલી નાનાભાઈ વણકર પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો રાખીને વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે SMCની ટીમે દરોડો પાડ્યો હતો.દરોડા દરમિયાન બાબુ ચોટલીના મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 2027 બોટલો મળી આવી હતી. આ દારૂના જથ્થાની કિંમત ₹5,68,600/- આંકવામાં આવી છે. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત ગુનામાં વપરાયેલી બે લક્ઝરી ગાડીઓ પણ જપ્ત કરી છે. જેમાં સફેદ રંગની મહિન્દ્રા મેક્સ કાર (રજી. નં. GJ-20-A-6397) અને સફેદ રંગની બોલેરો પ્લસ ગાડી (રજી. નં. GJ-07-DB-5204)નો સમાવેશ થાય છે. આ બંને ગાડીઓની કિંમત ₹10 લાખ અંદાજવામાં આવી છે. વધુમાં, આરોપીઓ પાસેથી ₹70,000ની કિંમતના પાંચ મોબાઈલ ફોન અને દારૂ ઢાંકવા માટે વપરાતું કાળું કપડું પણ કબજે લેવાયું છે. પોલીસે સ્થળ પરથી મુખ્ય આરોપી બાબુભાઈ ઉર્ફે બાબુ ચોટલી વણકર, તેને મદદ કરનાર સુનીલ બાબુભાઈ પરમાર, બોલેરો ગાડી લઈને આવેલ ડ્રાઈવર અક્ષયકુમાર બાબુભાઈ રાઠવા અને દારૂની પેટીઓ ઉતારવાની મજૂરી કરનાર રાજેશભાઈ માનાભાઈ વણકરની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો મધ્યપ્રદેશના કઠેવાડા ગામના અશોકભાઈ પ્રતાપસિંહ બારીયાએ મોકલ્યો હતો, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.આ સમગ્ર કાર્યવાહી સ્ટેટ મોનિટરિંગ સેલના એ.એસ.આઈ. બળવંતસિંહ અને પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. ચૌધરીની ટીમ દ્વારા કરવામાં આવી હતી. દામવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 11:46 am

વલભીપુર પાસે હિટ એન્ડ રનમાં યુવકનું મોત:કલ્યાણપુર ચોકડી નજીક પીકઅપ વાને રાહદારીને અડફેટે લીધો, CCTV ફૂટેજ સામે આવ્યા

વલભીપુર-બરવાળા રોડ પર કલ્યાણપુર ચોકડી પાસે એક હિટ એન્ડ રનની ઘટના બની છે. બપોરના સુમારે બનેલા આ અકસ્માતમાં પીકઅપ વાહનની અડફેટે આવેલા ઋષીરાજસિંહ હાલુંભા ગોહિલ નામના યુવાનનું ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગત તારીખે બપોરે 1 વાગ્યા આસપાસ કલ્યાણપુર ચોકડી નજીક એક પીકઅપ ચાલકે બેફિકરાઈથી વાહન ચલાવીને ચાલીને જઈ રહેલા ઋષીરાજસિંહને અડફેટે લીધા હતા. આ ઘટનાના સી.સી.ટી.વી. ફૂટેજ પણ સામે આવ્યા છે. ગંભીર રીતે ઘવાયેલા ઋષીરાજસિંહને તાત્કાલિક ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, મોડી રાત્રે ટૂંકી સારવાર બાદ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર તાલુકામાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 11:43 am

CCTV ફૂટેજ જોવા જેવી નજીવી બાબતે ધીંગાણું:ઝુંડાલની કેપસ્ટોન જુરી સોસાયટીના રહીશો અને દુકાનદાર સામસામે આવી ગયા, બન્ને પક્ષે ફરિયાદ

ગાંધીનગરના ઝુંડાલ વિસ્તારમાં આવેલી કેપસ્ટોન જુરી સોસાયટીમાં CCTV ફૂટેજ જોવા જેવી સામાન્ય બાબતે રહેવાસીઓ અને દુકાનદાર વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ધીંગાણું સર્જાયું હતું. આ મામલે બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. દુકાનદારને માર મારી ધમકી આપ્યાનો આક્ષેપ દુકાનદાર પ્રવિણભાઈ માણેકચંદ પ્રજાપતિએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની દુકાન પાસે કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાતા તેઓ સોસાયટીના સેક્રેટરી પાસે CCTV ફૂટેજ જોવા ગયા હતા. આ સમયે સેક્રેટરીએ કેમેરા દુકાનદારો માટે નથી તેમ કહેતા વિવાદ થયો હતો. આ બાબતની અદાવત રાખી રાત્રિના સમયે કિશન પટેલ અને અન્ય 8-9 માણસોના ટોળાએ દુકાને આવી ગાળો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો. તેમજ દુકાન ખાલી કરી દો નહીતર જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હોવાનો આક્ષેપ કર્યો છે. સેક્રેટરી સોસાયટીના સભ્યો સાથે સમજાવવા જતાં મારામારી થયાનો આક્ષેપ જ્યારે સામે પક્ષે સચિનભાઈ હિંમતભાઈ પટેલે ફરિયાદ નોંધાવી છે કે, સવારે સેક્રેટરી સાથે થયેલી માથાકૂટ બાબતે વ્હોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરી સોસાયટીના સભ્યો રાત્રે દુકાનદારને સમજાવવા ગયા હતા. આ દરમિયાન દુકાનદાર પ્રવિણ, તેના ભાઈઓ અને માતાએ ઉશ્કેરાઈને ગાળાગાળી કરી હતી. આક્ષેપ છે કે, પ્રવિણ પ્રજાપતિએ કાચની બોટલ છૂટી મારતા સચિનને કપાળે વાગ્યું હતું, જ્યારે પ્રવિણની માતાએ બોટલ મારતા અન્ય એક સભ્યને માથામાં 6 ટાંકા આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ અડાલજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 11:26 am

ભાવનગરમાં બાઈક અને એક્ટિવા વચ્ચે અકસ્માતમાં 1નું મોત:રોંગસાઈડમાં પૂરઝડપે આવતી બાઈકે એક્ટિવાને ટક્કર મારી, 1 ઈજાગ્રસ્ત સારવાર હેઠળ

ભાવનગરના વાઘાવાડી રોડ પર ગમખ્વાર અકસ્માતમાં એક યુવતીનું મોત થયું છે, જ્યારે અન્ય એક યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ છે. આ ઘટના સેન્ટ્રલ સોલ્ટ સામે બની હતી, જ્યાં રોંગ સાઈડમાં આવતી બાઈકે એક્ટિવાને ટક્કર મારી હતી. મળતી માહિતી મુજબ, જવાહર મેદાન મેળામાંથી પરત ફરી રહેલી બે બહેનો જાનવી અને રિધ્ધી એક્ટિવા પર સવાર હતી. તે સમયે પુરઝડપે અને રોંગ સાઈડમાં આવતી બજાજ પ્લેટિના બાઈક સાથે તેમનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં રિધ્ધીબેનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે જાનવીબેનને ગંભીર ઈજાઓ પહોંચી છે. તેમની સાથે રહેલી અન્ય ત્રણ બહેનપણીઓને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી. ફરિયાદ અનુસાર, બજાજ પ્લેટિના બાઈક ચાલકે બેદરકારીપૂર્વક અને રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 11:20 am

લોકોને વગર ટિકિટે મુસાફરી કરવી પડી:4 BRTS બસ સ્ટેન્ડ પર ટિકિટિંગ સ્ટાફ જ ગાયબ, એજન્સીને માત્ર દંડ કરાયો

અમદાવાદમાં જાહેર પરિવહન સેવા BRTS બસ સ્ટેન્ડો પર સ્ટાફની ગેરહાજરી હોવાનું સામે આવ્યું છે. શહેરના આસ્ટોડિયા દરવાજા, આસ્ટોડિયા ચકલા, કાલુપુર અને જુના વાડજ બસ સ્ટેન્ડ પર 17 ડિસેમ્બરની બપોર બાદ ટિકિટ આપવા માટે રાખવામાં આવેલો સ્ટાફ હાજર ન હોવાનું સામે આવ્યું છે. એક મુસાફરે આસ્ટોડિયા દરવાજા પાસે સ્ટાફ ગેરહાજર હોવાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો તથા BRTSમાં ફરિયાદ કરવામાં આવી હતી જેના પગલે બીજા ત્રણ બસ સ્ટેન્ડ પર પણ સ્ટાફ ન હોવાનું સામે આવતા કોન્ટ્રાક્ટર એજન્સી સમીર.એમ.શાહને માત્ર સામાન્ય દંડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. સિક્યુરિટી સ્ટાફને પૂછતા બપોર બાદ કોઈ પણ ટિકિટ સ્ટાફ હાજર નથી તેવું જણાવ્યુંરોજના લાખોની સંખ્યામાં મુસાફરો BRTS બસમાં મુસાફરી કરે છે. કોર્પોરેશનની એક આવક પણ બસમાંથી ઊભી થાય છે, પરંતુ બસ સ્ટેન્ડ પર મુસાફરોને ટિકિટ આપવા માટે રાખવામાં આવેલી ટિકિટિંગ સ્ટાફની એજન્સીની બેદરકારી સામે આવી છે. ગઈકાલે 17 ડિસેમ્બરના રોજ સોશિયલ મીડિયા ઉપર જાગૃત મુસાફર દ્વારા વીડિયો ઉતારીને વાઇરલ કરવામાં આવ્યો હતો. જેમાં આસ્ટોડિયા દરવાજા બસ સ્ટેન્ડ પર કોઈપણ ટીકીટિંગ સ્ટાફ હાજર નહોતો. જે મુસાફર બસ સ્ટેન્ડ પર આવી રહ્યા હતા તેઓ ટિકિટ લેવા માટે ટિકિટ બારી પર ગયા હતા, પરંતુ ત્યાં કોઈ પણ વ્યક્તિ હાજર નહોતો. બસ સ્ટેન્ડ પર હાજર સિક્યુરિટી સ્ટાફને પૂછતા બપોર બાદ કોઈ પણ ટિકિટ સ્ટાફ હાજર નથી તેવું જણાવ્યું હતું. 4 બસ સ્ટેન્ડ પર બપોર બાદ સ્ટાફ હાજર નહોતોસોશિયલ મીડિયા પર આ વીડિયો વાઇરલ થયો હતો અને બાદમાં મુસાફર દ્વારા બીઆરટીએસ તંત્રને પણ ફરિયાદ કરવામાં આવી હતી. જેના પગલે તંત્ર દ્વારા ત્યાં તપાસ કરવામાં આવતા આસ્ટોડિયા દરવાજા, આસ્ટોડિયા ચકલા, કાલુપુર અને જુના વાડજ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર બપોર બાદ કોઈપણ સ્ટાફ આવ્યો ન હોવાનું ધ્યાન પર આવ્યું હતું. કોન્ટ્રાકરને માત્ર 1 લાખનો દંડ ફટકારી તંત્રએ સંતોષ માન્યોજેના પગલે તાત્કાલિક ધોરણે કોન્ટ્રાક્ટર એજન્સી સમીર.એમ.શાહને જાણ કરવામાં આવી હતી. ટિકિટિંગ સ્ટાફ મૂકવાની જવાબદારી એજન્સીની હોવા છતાં પણ તેઓ દ્વારા સ્ટાફ મૂકવામાં આવ્યો નથી, જેના પગલે તંત્ર દ્વારા હવે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. જોકે તંત્ર દ્વારા માત્ર તેને એક લાખ રૂપિયાનો દંડ ફટકારી સંતોષ માનવામાં આવશે. ભૂતકાળમાં ટિકિટિંગ કૌભાંડ પણ સામે આવ્યું હતુંબીઆરટીએસ બસ સ્ટેન્ડ પર અવારનવાર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે. ભૂતકાળમાં ટિકિટિંગ કૌભાંડ પણ સામે આવ્યું હતું. જૂની ટિકિટ આપી અને લોકો સાથે છેતરપિંડીનો પણ બનાવ બન્યો હતો કોન્ટ્રાક્ટર એજન્સી સમીર.એમ.શાહ દ્વારા બસ સ્ટેન્ડ પર ટિકિટિંગ સ્ટાફ ન મૂકી અને કોર્પોરેશનને નુકસાન કરવામાં આવ્યું છે, પરંતુ બીઆરટીએસ તંત્રના અધિકારીઓ આવા કોન્ટ્રાક્ટર એજન્સીને માત્ર સામાન્ય દંડ ફટકારી સંતોષ માની રહી છે. આસ્ટોડિયા દરવાજા, કાલુપુર અને વાડજ આ ખૂબ જ ભરચક અને રોજના અનેક મુસાફરો મુસાફરી કરતા હોય છે ત્યારે લોકોને વગર ટિકિટે મુસાફરી કરવાની ફરજ પડી હતી.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 11:15 am

સેલવાસમાં વ્યાજખોરીનો ત્રાસ, પીડિતોએ SPને રજૂઆત કરી:અરુણ પિલ્લઈ સામે કડક કાર્યવાહીની માંગ, 5 થી 10 ટકા વ્યાજ વસૂલાતનો આરોપ

સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસમાં ગેરકાયદેસર વ્યાજખોરીનો ધંધો બેફામ ચાલી રહ્યો હોવાના આક્ષેપ સાથે સ્થાનિક નાગરિકોએ પોલીસ અધિક્ષક (એસપી) સમક્ષ લેખિત રજૂઆત કરી છે. વ્યાજખોરીના ત્રાસથી પરેશાન પાંચ પીડિતોએ અરુણ પિલ્લઈ નામના વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પીડિતોએ એસપી સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું કે, આરોપી દ્વારા પાંચથી દસ ટકા માસિક વ્યાજના દરે ગેરકાયદેસર રીતે વસૂલી કરવામાં આવે છે. આ વ્યાજખોર દ્વારા મજબૂર લોકોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. એક પીડિતના જણાવ્યા અનુસાર, માત્ર 20 હજાર રૂપિયા ઉધાર લીધા બાદ સ્ટેમ્પ પેપર પર લખાણ કરાવી અને બ્લેન્ક ચેક પર સહી કરાવી લેવામાં આવી હતી. બાદમાં વ્યાજ સહિત 80 હજારથી વધુ રકમ ચૂકવ્યા છતાં પણ સતત પૈસાની માંગ કરવામાં આવી રહી છે. પીડિતોના આરોપ મુજબ, બ્લેન્ક ચેકનો દુરુપયોગ કરી મનમાની રીતે બે-બે લાખ રૂપિયાની રકમ ભરીને કોર્ટ કેસમાં ફસાવવાની તથા જેલમાં મોકલવાની ધમકી આપવામાં આવી રહી છે. આ ધમકીઓથી પીડિતો ભયભીત છે. ફરિયાદ સાંભળ્યા બાદ એસપીએ મામલાની ગંભીરતા ધ્યાનમાં લઈ યોગ્ય તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. સ્થાનિકોનું કહેવું છે કે, સેલવાસ અને આસપાસના વિસ્તારોમાં સફેદપોશ વ્યાજખોરો સક્રિય બની મજબૂર લોકોનું શોષણ કરી રહ્યા છે, જેને અટકાવવા તાત્કાલિક કાર્યવાહી જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 10:58 am

દેવગઢ બારીયા પાલિકાના પ્રમુખ તરીકે ધર્મેશ કલાલે ફરી પદભાર સંભાળ્યો:ગુજરાત હાઈકોર્ટે અવિશ્વાસની દરખાસ્ત રદ કરતા ફરીથી ભાજપની સત્તા નગરપાલિકામા યથાવત્

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા નગરપાલિકામાં ધર્મેશ કલાલે ફરીથી પ્રમુખ પદનો કાર્યભાર સંભાળ્યો છે. હાઈકોર્ટે તેમની વિરુદ્ધ પસાર થયેલી અવિશ્વાસની દરખાસ્ત રદ કરતા આ નિર્ણય આવ્યો છે, જેના પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. ગત ફેબ્રુઆરી 2025માં યોજાયેલી પાલિકા ચૂંટણીમાં ભાજપને બહુમતી મળ્યા બાદ ધર્મેશ કલાલને સર્વસંમતિથી પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. જોકે, પ્રમુખ બન્યાના માત્ર સાત મહિનાના ટૂંકા ગાળામાં જ તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી. આ દરખાસ્ત અપક્ષના આઠ, ભાજપના છ અને કોંગ્રેસના બે સભ્યો સહિત કુલ 16 સભ્યો દ્વારા રજૂ કરવામાં આવી હતી. વિકાસ કાર્યો અને સફાઈ જેવા મુદ્દાઓને ટાંકીને લાવવામાં આવેલી આ દરખાસ્ત પસાર થતા ધર્મેશ કલાલે પ્રમુખ પદ છોડવું પડ્યું હતું. ત્યારબાદ, જિલ્લા મ્યુનિસિપલ ચૂંટણી અધિકારી, દાહોદ દ્વારા પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી, જેમાં નીલ સોની પ્રમુખ બન્યા હતા. ધર્મેશ કલાલે આ અવિશ્વાસની દરખાસ્ત સામે હાઈકોર્ટમાં પડકાર ફેંક્યો હતો. હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ગુજરાત મ્યુનિસિપલ એક્ટનો ઉલ્લેખ કર્યો હતો, જે મુજબ એક વર્ષ સુધી અવિશ્વાસની કોઈ દરખાસ્ત લાવી શકાતી નથી. કોર્ટે નોંધ્યું કે, સાત મહિનાના ટૂંકા ગાળામાં જ આ દરખાસ્ત લાવવામાં આવી હતી, જે નિયમ વિરુદ્ધ હતી. આથી, હાઈકોર્ટે અવિશ્વાસની દરખાસ્તને ગેરલાયક ઠેરવી અને ત્યારબાદની તમામ ચૂંટણી પ્રક્રિયા રદ કરી. કોર્ટે ધર્મેશ કલાલને ફરીથી પ્રમુખ પદ સોંપવાનો આદેશ આપ્યો. હાઈકોર્ટના આદેશના આધારે, જિલ્લા મ્યુનિસિપલ ચૂંટણી અધિકારી, દાહોદ દ્વારા ધર્મેશ કલાલને પ્રમુખ તરીકે અમલવારી કરવા બાબતનો હુકમ કરવામાં આવ્યો. આજરોજ પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલે પાલિકામાં જઈ વિધિવત રીતે પ્રમુખ પદ ગ્રહણ કર્યું હતું. આ પ્રસંગે તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 10:48 am

સુરતમાં નકલી બ્યુટી પ્રોડક્ટ્સનું કારખાનું ઝડપાયું:ત્વચાને કોમળ અને કાળા ડાઘ ઘટાડવાની ક્રીમને ફ્લિપકાર્ટમાં અડધી કિંમતે વેચતા; યુવકની ધરપકડ

સુરત શહેરમાં ડુપ્લીકેટ વસ્તુઓ બનાવી અસલીના નામે પધરાવી દેવાનું વધુ એક નેટવર્ક સામે આવ્યું છે. બે મહિના બાદ ફરી લોકોના સ્વાસ્થ્ય અને ત્વચા સાથે ચેડાં કરતી નકલી બ્યુટી પ્રોડક્ટ્સનું કારખાનું ઝડપાયું છે. પુણા વિસ્તારમાં આવેલ શાશ્વત પ્લાઝામાં પોલીસે દરોડો પાડીને ડુપ્લીકેટ ત્વચાને કોમળ અને કાળા ડાઘ ઘટાડવાની નકલી ક્રીમનો લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પુણા પોલીસે સ્થળેથી એખ 21 વર્ષીય યુવકની ધરપકડ પણ કરી છે. આરોપી આ હલકી ગુણવતા વાણી ક્રીમ પર બ્રાન્ડેડ સ્ટીકર લગાવી અડધી કિંમતમાં ઓનલાઈન વેચણ કરતો હતો. શું હતો સમગ્ર મામલો?પુણા વિસ્તારમાં આવેલા શાશ્વત પ્લાઝાના બીજા માળે એક દુકાનમાં નકલી બ્યુટી ક્રીમ બનાવવાનું કામ ચાલતું હોવાની બાતમી મળી હતી. આ કૌભાંડમાં 'ડર્મડોક હોનેસ્ટ નાઈટ ક્રીમ' (DermDoc Honest Night Cream) નામની જાણીતી બ્રાન્ડના નામે નકલી ક્રીમ બનાવવામાં આવતી હતી. કંપનીના પ્રતિનિધિઓને આ બાબતની શંકા જતાં તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને સંયુક્ત રીતે રેડ કરવામાં આવી હતી. હલકી કક્ષાની ક્રીમની ડબ્બીઓ પર અસલી સ્ટીકર લગાવી વેચાણપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, માત્ર 21 વર્ષનો આરોપી અર્ષિત લાલજીભાઈ દેસાઈ (રહે. કામરેજ) આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે. આરોપી હલકી કક્ષાની ક્રીમ લાવી તેને પ્લાસ્ટિકની ડબ્બીઓમાં ભરતો હતો. આ ડબ્બીઓ પર અસલી કંપનીના સ્ટીકર લગાવી, હીટ ગન મશીનથી પ્રોફેશનલ પેકિંગ કરવામાં આવતું હતું. આ નકલી ક્રીમ તે ફ્લિપકાર્ટ (Flipkart) જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચતો હતો. ઓરિજિનલથી અડધી કિંમતમાં વેચાણ કરતોઓરીજનલ ક્રીમની કિંમત 399 રૂપિયા છે, જ્યારે આરોપી ગ્રાહકોને લલચાવવા માત્ર 170 રૂપિયામાં આ નકલી ક્રીમ ઓનલાઈન વેચતો હતો. પોલીસે શાશ્વત પ્લાઝા અને આરોપીના કામરેજ સ્થિત ઘરે દરોડા પાડીને વસ્તુઓ કબજે કરી છે. જેમાં નકલી ક્રીમની 801 નંગ ડબ્બીઓ (50 ml), કંપનીના લોગોવાળા નકલી સ્ટીકરો અને પારદર્શક પેકિંગ રેપર, હીટ ગન મશીન અને ફ્લિપકાર્ટના બ્રાન્ડિંગવાળી સેલોટેપ મળી કુલ કિંમત આશરે 3.19 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ત્વચા માટે અત્યંત જોખમીનિષ્ણાતોના મતે, આ ક્રીમમાં વપરાયેલું મટીરિયલ હલકી ગુણવત્તાનું હોવાથી ત્વચા પર ખીલ, કાળા ડાઘ અથવા ગંભીર ઈન્ફેક્શન થવાની પૂરેપૂરી શક્યતા છે. ત્વચાને કોમળ બનાવવાના બહાને આ ક્રીમ લોકોના ચહેરાને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. પુણા પોલીસે આરોપી અર્ષિત દેસાઈ વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે છેલ્લા દોઢ મહિનાથી આ કાળો કારોબાર ચલાવી રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 10:37 am

વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાનો ધમકીભર્યો મેલ:‘1 વાગ્યા સુધીમાં ખાલી કરી દેજો નહીં તો ઉડાવી દઇશું', બોમ્બ-ડોગ સ્ક્વોડની ટીમોએ ચેકિંગ શરૂ કર્યું

વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળ્યો છે. ઈ-મેલમાં લખવામાં આવ્યું છે કે, '1 વાગ્યા સુધીમાં કચેરી ખાલી કરાવી દેજો, નહીં તો બોમ્બથી ઉડાવી દઈશું.' આ ગંભીર ધમકીને પગલે અકોટા પોલીસ, એસ.ઓ.જી., વડોદરા ક્રાઈમ બ્રાન્ચ તેમજ બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને હાલમાં કલેક્ટર કચેરીના તમામ વિભાગોમાં સઘન ચેકિંગ અને સુરક્ષા તપાસની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યાં છીએ...

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 10:15 am

ખબરદાર જમાદાર:સતત ફિલ્ડ પર એક્ટિવ રહેતા IPSની બદલી થઈ અને PI નિષ્ક્રિય થયા, પશ્ચિમમાં સ્પા માલિકોના ઊંચા કોન્ટેક્ટથી રેડ જ પડતી નથી

દિવ્ય ભાસ્કર તેના વાચકમિત્રો માટે દર ગુરુવારે એક નવી પ્રસ્તુતિ રજૂ કરી રહ્યું છે, જેનું નામ છે 'ખબરદાર જમાદાર!'. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કોઈ અમલદારની ઓફિસમાં કોઈ કાનાફૂસી થઈ હશે એને હળવી શૈલીમાં પ્રસ્તુત કરવાનો આ એક પ્રયાસ છે. સોશિયલ મીડિયા પર જ્ઞાન વહેંચે અને ખાનગીમાં કવર ઉઘરાવેસોશિયલ મીડિયામાં સતત સક્રિય એક અધિકારી સોશિયલ મીડિયાના માધ્યમથી કવિતા, જોક અને લોકોને સલાહ આપે છે. થોડા સમય અગાઉ જ તેઓ અમદાવાદમાં બદલી થઈને આવ્યા છે. ડાહી વાતો કરનાર આ અધિકારીએ જ તેમના તાબા હેઠળના પીઆઇ પાસેથી દર મહિને કવર મેળવવા એક પોલીસકર્મી રાખ્યો છે. આ અધિકારી અગાઉ પણ અમદાવાદમાં નોકરી કરી ચૂક્યા છે ત્યારે વિવાદમાં આવ્યા હતા. હવે ફરીથી અમદાવાદમાં આવ્યા તો લોકોને સોશિયલ મીડિયાના માધ્યમથી સલાહ આપી રહ્યા છે, પરંતુ પોતે દર મહિને કવર લેવાનું ચૂકતા નથી. PIએે ભૂતકાળની કમાણીના જોરે મોંઘી ક્લબમાં પરિવારના સભ્યનો જન્મદિવસ ઉજવ્યો અમદાવાદમાં અગાઉ નોકરી કરીને ગયેલા એક પીઆઇએ અમદાવાદની મોંઘી ક્લબમાં પોતાના પરિવારના સભ્યનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ઉજવણીમાં પોતાના જૂના સાથીઓ, અમદાવાદના મોટા અને માનિતા અધિકારીઓ, શહેરના અનેક અધિકારીઓનો કારોબાર સંભાળતા પોલીસકર્મીઓ અને વચેટિયા હાજર રહ્યા હતા. જાણે શક્તિ પ્રદર્શન હોય તેમ પીઆઇએ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં આવેલા કેટલાક લોકોને હવે બહુ જલ્દી અમદાવાદ આવવાના સંકેત આપ્યા હતા. મહત્વનું છે કે, જ્યારે પીઆઇ અમદાવાદમાં હતા ત્યારે તેમનો વટ હતો અને સારી એવી કમાણી પણ કરી ચૂક્યા હતા. તે જ પૈસાથી તેમણે મોંઘીદાટ ક્લબમાં જન્મદિવસની પાર્ટી રાખી હતી. એક્ટિવ રહેતા IPSની બદલી થતાં PI નિષ્ક્રિયઅમદાવાદમાં અગાઉ એક IPS અધિકારી ફરજ બજાવતા હતા ત્યારે ટ્રાફિક નિયમન સારી રીતે થતું હતું કેમ કે, IPS અધિકારી પોતે ફિલ્ડમાં હાજર રહેતા હતા. હવે નવા અધિકારી આવતા નીચેના પીઆઇ પણ હવે ઓછા જોવા મળી રહ્યા છે. જૂના અધિકારીની વિદાય બાદ અનેક પીઆ હવે નિષ્ક્રિય થયા છે. એક અધિકારી સોશિયલ મીડિયાથી નિરીક્ષણ કરે છે, પરંતુ બીજા અધિકારી તો ક્યારેક ફોન ઉઠાવવાની તસ્દી પણ લેતા નથી. કોઈ બનાવ બને ત્યારે નીચેના અધિકારી પર ઢોળી જવાબ આપવાનું પણ ટાળે છે. શહેરમાં આ સ્થિતિમાં આગામી દિવસમાં ટ્રાફિકની સમસ્યા વધે તો નવાઈ નહીં. કોઈના ડર વિના ચોકીમાં બેસીને ખુલ્લેઆમ વાહનચાલકો પાસેથી વસૂલાતઅમદાવાદમાં થોડા સમય અગાઉ એક પોલીસકર્મી ડ્યુટી પર દારૂ નશામાં પકડાયા હતા તે જ વિસ્તારમાં બ્રિજ નીચે ચોકીમાં બેસીને એક પોલીસકર્મી પરાક્રમ કરી રહ્યા છે. એક મહિલા અધિકારીને છૂટછાટ આપી હોવાથી આ પોલીસકર્મી બ્રિજ નીચે આવેલી એક ચોકીમાં બેસીને રસ્તેથી પસાર થતા ભારે વાહન અને નો એન્ટ્રીમાં આવેલા વાહનચાલકો પાસેથી વધારાના પૈસા વસૂલે છે. અગાઉ આ જ વિસ્તારમાં એક પોલીસકર્મી દારૂના નશામાં પકડાયા છતાં આ પોલીસકર્મી નિડર બનીને તેમના પરાક્રમ બેફામ રીતે કરી રહ્યા છે. પોલીસકર્મી પોતાની ફરજ છોડીને ટ્રાવેલ્સ માલિકોની સરભરામાં વ્યસ્તઅમદાવાદના અંડરબ્રિજ પાસેના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીને તેમની નોકરી કરતા ટ્રાફિકમાં વધુ રસ છે. પોલીસકર્મીની નોકરી પોલીસ સ્ટેશનમાં છે છતાં હાજર અન્ય વિસ્તારમાં રહે છે. આ વિસ્તારમાં બેફામ ચાલતી ટ્રાવેલ્સે લોકોના જીવ લીધા છે, રાતના સમયે ટ્રાફિક જામ થાય છે છતાં પોલીસકર્મી પોતાની નોકરી છોડીને ટ્રાવેલ્સ માલિકોને મળવા પહોંચી જાય છે. એટલું જ નહીં ટ્રાફિકનો હદ વિસ્તાર લાંબો હોવાથી છેક બાજુના શહેર બોર્ડર સુધી કેટલીક વાર ચાલુ નોકરીએ આંટો મારવા નીકળી જાય છે. પશ્ચિમમાં સ્પા માલિકોના ઊંચા કોન્ટેક્ટથી રેડ જ પડતી નથીઅમદાવાદના પશ્ચિમના કેટલાક સ્પાના માલિકો પોલીસને ગાંઠતા ન હોવાની ચર્ચા ચાલી રહી છે. શહેર પોલીસ દ્વારા એક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી જેમાં સ્પાના નામે ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃતિઓ પર રોક લાગી હતી. ત્યારે પશ્ચિમના કેટલાક સ્પામાં સ્થાનિક પોલીસ પાસે જ રેડ કરવાની શક્તિ નથી. સ્પા માલિકોના ઊંચા કોન્ટેક્ટ હોવાના કારણે રેડ પહેલાં જ ભલામણ થઈ જાય છે. કેટલાક કિસ્સામાં તો રેડ કરવા ટીમ જાય ત્યારે અગાઉથી જાણ થતા ગેરકાયદેસર પ્રવૃતિઓ ત્યાંથી હટાવી લેવામાં આવે છે. શહેરના પશ્ચિમ વિસ્તારના કેટલાક સ્પા આ બાબતે જાણીતા થયા છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 9:25 am

નવનિર્મિત ખાખી ભવનમાં કોન્સ્ટેબલ પણ માણી શકશે IPS જેવી લક્ઝરી:અમદાવાદ 8.50 કરોડના ખર્ચે તૈયાર થયેલા ખાખી ભવનમાં પોલીસ માટે 'ફાઈવ સ્ટાર' સુવિધા, હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

અમદાવાદ ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર ખાતે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત ખાખી ભવનનું નિર્માણ થઈ ચૂક્યું છે. જેનું આજે(18 ડિસેમ્બર) નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. IPS અધિકારીઓ માટે જે પ્રમાણેની સુવિધાઓ IPS મેસમાં આપવામાં આવતી હોય છે, તે પ્રકારની જ સુવિધાઓ હવે પોલીસ કર્મચારીઓ માટે પણ ઉભી કરવામાં આવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટરથી લઈને પોલીસ કોન્સ્ટેબલ સુધીના કર્મચારીઓ માટે ખાખી ભવન તૈયાર કરવામાં આવ્યું છે. સરકારી કામ માટે જે લોકો અમદાવાદ આવે છે તેવા અધિકારીઓ અને કર્મચારીઓને આ ખાખી ભવન ખૂબ ઉપયોગી બનવાનું છે. ફાઇવ સ્ટાર હોટલને પણ ટક્કર માટે તેવી સુવિધાઓ ખાખી ભવનમાં કરવામાં આવી છે. 26 રૂમ, કાફે, કેન્ટીન સહિતની સુવિધા છે ખાખી ભવનમાંગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી જ્યારે અધિકારીઓ કે પોલીસ કર્મચારીઓ તપાસ માટે કે બીજા કોઈ કામ માટે અમદાવાદ આવતા હતા ત્યારે તેમના રહેવા માટેની કોઈ યોગ્ય વ્યવસ્થા નહોતી. કોઈક હોટલ તો કોઈ ગેસ્ટ હાઉસમાં રોકાતા હતા. જેથી અમદાવાદમાં જે પોલીસ કર્મચારીઓ આવે છે તેમને રહેવા માટેની કોઈ તકલીફ ન પડે તેવું સુવિધાઓથી સજ્જ ખાખી ભવન તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં તમામ સુવિધાઓ સાથેના 26 રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. અત્યાધુનિક કાફે, કેન્ટીન સહિતની સુવિધાઓ પણ ખાખી ભવનમાં તૈયાર કરવામાં આવી છે. સંઘવી ખાખી ભવનમાં ઉદ્ઘાટનની સાથે સાથે પ્રોજેક્ટ બ્લુ સર્કિટનું નિદર્શન કરશેનાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાખી ભવનમાં ઉદ્ઘાટનની સાથે સાથે પ્રોજેક્ટ બ્લુ સર્કિટનું નિદર્શન કરશે, પ્રોજેક્ટ અભયયાત્રી તથા ADR-SHIELD પ્લેટફોર્મ અનાવરણ, તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અન્વયે મુદ્દામાલ સોંપણી, વિભાગીય પોલીસ અધિકારી અસલાલી વિભાગના નવીન બિલ્ડિંગનું લોકાર્પણ અને વિરમગામ ટાઉન પોલીસ લાઇનનું પણ ખાતમુહુર્ત કરશે. ખાખી ભવનનું 8.50 કરોડના ખર્ચે નિર્માણ કરાયુંખાખી ભવનનું 8.50 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં 2400 ચોરસ મીટરમાં અતિ આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં ક્યાંય પણ ન હોય તેવી સુવિધાઓ પોલીસ કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓના રહેવા માટે કરવામાં આવી છે. 2400 જેટલા ચોરસ મીટર બાંધકામમાં ત્રણ ફ્લોર તૈયાર કરવામાં આવ્યા છે. ગ્રાઉન્ડ ફ્લોર પર કિચન, મેસ, ઇન્ડોર ગેમ્સ, જીમ રૂમ, લોન્ડ્રી રૂમખાખી ભવનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર અલગ અલગ એક્ટિવીટી માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં કિચન, મેસ, ઇન્ડોર ગેમ્સ, જીમ રૂમ, લોન્ડ્રી રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં પોલીસ કર્મચારીઓ શાંતિથી જમી શકે તે માટે ડાઇનિંગ ટેબલ પણ રાખવામાં આવ્યા છે. 50 જેટલા લોકો એક સાથે જમી શકે તે પ્રકારે ડાઇનિંગ હોલ તૈયાર કરવામાં આવ્યો છે. જે તમામ સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવ્યું છે. પહેલા ફ્લોર પર સિંગલ કિંગ સાઈઝના બેડવાળા 12 રૂમપહેલા ફ્લોર પર સિંગલ કિંગ સાઈઝના બેડવાળા 12 રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. તમામ 12 રૂમ ફાઇવ સ્ટાર સુવિધાઓ સાથે બનાવવામાં આવ્યા છે. તમામ રૂમમાં ફૂલ ફર્નિચર બનાવવામાં આવ્યું છે. જેમાં સિંગલ સાઇઝ બેડવાળા રૂમમાં એસી, પંખા, ટીવી, ડાઇનિંગ ટેબલ, રૂમમાં પણ ડાઇનિંગ ટેબલ, રીડિંગ ટેબલ, સામાન મૂકવા માટે બે મોટા કબાટ, બાલ્કનીમાં પણ બે ખુરશી અને એક ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજા ફ્લોર પર 14 રૂમબીજા ફ્લોર પર 14 રૂમ બનાવવવા આવ્યા છે. જે ફાઇવ સ્ટાર હોટલને પણ ટક્કર મારે તેવા છે. આ તમામ 14 રૂમ ડબલ બેડ સાથે બનાવવામાં આવ્યા છે. જેમાં બે બેડ, એસી, પંખો, ડાઇનિંગ ટેબલ, રીડિંગ ટેબલ, સામાન મૂકવા માટે બે મોટા કબાટ, બાલ્કનીમાં પણ બે ખુરશી અને એક ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્રીજા ફ્લોર પર ડોરમેટ્રીના ત્રણ રૂમ અને 28 સિંગલ સાઈઝના બેડત્રીજા ફ્લોર પર ડોરમેટ્રીના ત્રણ રૂમ બનાવવામાં આવ્યા છે. જ્યાં અલગ અલગ 28 જેટલા સિંગલ સાઈઝના બેડ સાથેના રૂમ બનાવવામાં આવ્યા છે. જેમાં અલગ અલગ બેડ સાથે સામાન રાખવા માટે કબાટ પણ બનાવવામાં આવ્યા છે. તેમજ ત્રીજા ફ્લોર સાથે મોટી સાઇઝની બાલ્કની પણ બનાવવામાં આવી છે. ત્યાં પણ પંખાની સુવિધા અપાઈ છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 9:11 am

હાથીના બચ્ચા સાથે ફૂટબોલ રમ્યો મેસ્સી, VIDEO:વનતારામાં સિંહ, જિરાફ સહિતના પ્રાણીઓને નજીકથી નિહાળ્યાં, અનંત-રાધિકા સાથે ભગવાનની આરતી અને પૂજા કરી

વર્લ્ડ ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સીએ ભારતના પ્રવાસ દરમિયાન અનંત અંબાણીના વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ અને સંરક્ષણ કેન્દ્ર વનતારાની પણ મુલાકાત લીધી હતી. જેનો વીડિયો સામે આવ્યો છે. હાથીના બચ્ચા સાથે મેસ્સી ફૂટબોલ રમ્યો હતો. તેમજ સિંહ, જિરાફ સહિતના પ્રાણીઓને નજીકથી નિહાળ્યા હતા અને પ્રાણીઓ સાથે મસ્તી કરતો પણ જોવા મળ્યો હતો. આ ઉપરાંત અહીં મેસ્સીએ અનંત અને તેની પત્ની રાધિકા સાથે આરતી કરી હતી. ભગવાનની મૂર્તિ સામે માથું પણ ઝુકાવ્યું હતું. ભગવાન શિવની પૂજા અર્ચના કરી હતી. મેસ્સી ભારતીય રંગમાં રંગાયો હતો. મેસ્સીએ એલિફન્ટ કેર સેન્ટરમાં બે વર્ષ પહેલાં બચાવવામાં આવેલી બીમાર હાથી પ્રતિમાના બચ્ચા મણિકલાલ સાથે ફૂટબોલ રમ્યો. આ પ્રસંગે અનંત અંબાણી અને રાધિકા અંબાણીએ એક સિંહના બચ્ચાનું નામ લિયોનેલ પણ રાખ્યું હતું. તેમની સાથે તેમના ક્લબના ફૂટબોલ ખેલાડી લુઈસ સુઆરેઝ અને રોડ્રિગો ડી પોલ પણ હાજર હતા. તસવીરોમાં જુઓ મેસ્સીનો વનતારા પ્રવાસ... શું છે વનતારા વનતારા રિલાયન્સના જામનગર સ્થિત રિફાઇનરી પરિસરના 3000 એકર ગ્રીનબેલ્ટમાં ફેલાયેલું છે. વનતારા પ્રોજેક્ટ પ્રાણીઓને સમર્પિત પોતાની જાતનો દેશનો પ્રથમ સૌથી મોટો પ્રોજેક્ટ છે. આ સમગ્ર વિસ્તારને ગાઢ જંગલની જેમ વિકસાવવામાં આવ્યો છે. વનતારામાં 43 પ્રજાતિઓના 2000થી વધુ પ્રાણીઓ છે. આજે અહીં 200 હાથી, 300થી વધુ દીપડા, વાઘ, સિંહ, જગુઆર, હરણ છે. આ ઉપરાંત મગર, સાપ અને કાચબા જેવા 1200થી વધુ સરીસૃપોનું આશ્રયસ્થાન છે. તેમની દેખરેખ માટે 2100 લોકોનો સ્ટાફ છે. અહીં પ્રાણીઓ-પશુ-પક્ષીઓ માટે હાઈટેક હોસ્પિટલ પણ બનાવવામાં આવી છે. આ હોસ્પિટલ લગભગ 25 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલી છે. આ ઉપરાંત 650 એકરમાં એક પુનર્વસન કેન્દ્ર પણ બનાવવામાં આવ્યું છે. હોસ્પિટલમાં એક્સ-રે મશીન, લેઝર મશીન, હાઈડ્રોલિક સર્જિકલ ટેબલ જેવી તમામ હાઈટેક સુવિધાઓ ઉપલબ્ધ છે.આ પણ વાંચો- ફૂટબોલર મેસ્સીએ વનતારા જોયું, અનંત-રાધિકાએ સિંહના બચ્ચાનું નામ લિયોનેલ રાખ્યું સચિન તેંડુલકરે લિયોનલ મેસ્સીને વર્લ્ડકપ જર્સી ગિફ્ટ કરી આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનલ મેસ્સી ભારતમાં 3 દિવસના 'GOAT ઇન્ડિયા' પ્રવાસે છે. પ્રવાસના બીજા દિવસે તેણે મુંબઈમાં ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકર સાથે મુલાકાત કરી. સચિને વાનખેડે સ્ટેડિયમમાં તેમને પોતાનું નામ લખેલી ટીમ ઇન્ડિયાની જર્સી ભેટ આપી. સંપૂર્ણ સમાચાર વાંચો...

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 8:58 am

ખોખરામાં એક્ટિવા લઈને જતી યુવતીને ડમ્પરે કચડી:માથામાં ગંભીર ઈજાઓના પગલે ઘટનાસ્થળે જ મોત, અમદાવાદમાં વધુ એક ડમ્પરે નિર્દોષનો જીવ લીધો

અમદાવાદમાં ડમ્પરના કારણે સતત અકસ્માત થઈ રહ્યા છે, ત્યારે ખોખરામાં પણ ગત (18 ડિસેમ્બર)ની મોડી રાતે એક્ટિવા પર જઈ રહેલી 22 વર્ષીય યુવતીને પૂરપાટ ઝડપે આવતા ડમ્પરચાલકે પાછળથી ટક્કર મારી હતી. જે ઘટનામાં યુવતીનું ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. સ્થાનિકોએ ડમ્પરચાલકને પકડીને પોલીસને સોંપતા આઈ ડિવિઝન પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોધી ધરપકડ કરી છે. મહત્વનું છે કે, 5 દિવસ અગાઉ ડમ્પરચાલકે એક મહિલાને અડફેટે લેતા મહિલાનું મોત થયું હતું. ડમ્પરે પાછળથી જોરદાર ટક્કર મારતા યુવતી એક્ટિવા સાથે નીચે પટકાઈખોખરામાં રહેતી 22 વર્ષીય ખુશ્બુ ગુપ્તા ખાનગી હોસ્પિટલમાં નર્સિંગનું કામ કરે છે. ખુશ્બુ ગઈકાલે રાતે પોતાના એક્ટિવા પર અનુપમથી મદ્રાસી મંદિર તરફ જઈ રહી હતી. જ્યારે તે અયોધ્યા સોસાયટી નજીક પહોંચી, ત્યારે પાછળથી પૂરઝડપે આવતા ડમ્પર (નંબર GJ-27-TT-1555)ના ચાલકે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે, ખુશ્બુ એક્ટિવા પરથી નીચે પટકાઈ હતી અને તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ ગંભીર ઈજાના કારણે યુવતીનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ડમ્પરચાલકને સ્થળ પર જ પકડી રાખ્યો હતો. આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી ડમ્પરચાલક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 5 દિવસ અગાઉ બનેલા અકસ્માતમાં પણ આરોપી હજી પોલીસ પકડથી દૂરનોંધનીય છે કે, હજુ ચાર દિવસ અગાઉ જ બી ડિવિઝન ટ્રાફિક પોલીસ વિસ્તારમાં વાળીનાથ ચોક નજીક એક દંપતીને ડમ્પરચાલકે ટક્કર મારી હતી. તે અકસ્માતમાં મહિલાના માથા પર ડમ્પરનું ટાયર ફરી વળતા તેમનું પણ ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તે ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા, પરંતુ તે ડમ્પરચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો અને હજી પણ પોલીસ પકડથી દૂર છે. ટૂંકા ગાળામાં ડમ્પરના કારણે બે નિર્દોષ લોકોએ જીવ ગુમાવતા ડમ્પરચાલકોની બેફામ ગતિ સામે સખત કાર્યવાહીની માંગણી ઊઠી છે. આ સાથે અમદાવાદ ટ્રાફિક પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠ્યાં છે. આ પણ વાંચો: વાળીનાથ ચોક પાસે જમાઈની ખબર કાઢવા જતા દંપતીને ડમ્પરે ટક્કર મારી, મહિલાના માથા પરથી ડમ્પર ફરી વળતા માથું છુંદાયું

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 8:49 am

વડોદરા-સુરતની 30 મુસાફરો ભરેલી ખાનગી લક્ઝરી બસ પલટી:વહેલી સવારે કરજણ ફાયર વિભાગે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું, 10 લોકોને નાની મોટી ઇજા, એક ગંભીર

નેશનલ હાઇવે 48 પર કરજણના કંડારી પાસે વહેલી સવારે એક ખાનગી લક્ઝરી બસ પલટી જવાની ગંભીર ઘટના બની છે. વડોદરાથી સુરત તરફ જઈ રહેલી આ બસમાં 30થી વધુ મુસાફરો સવાર હતા, જેમાંથી 10 લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે અને એક મુસાફરની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી બસમાં ફસાયેલા એક વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢી સારવાર અર્થે ખસેડ્યો હતો. હાલમાં તમામ ઇજાગ્રસ્તોને કરજણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને કરજણ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 8:04 am

એલસીબીની કાર્યવાહી‎:ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજ ઝડપાયો,‎એપમાં ₹ 23.22 લાખનું બેલેન્સ ખુલ્યું‎

તાપી જિલ્લા પેરોલ સ્ક્વોડના‎હેડકોન્સ્ટેબલ મહાવીરસિંહ‎નીરૂભાભાઈને મળેલી ખાનગી‎બાતમીના આધારે એલસીબી‎પોલીસે વ્યારા શહેરના કાનપુરા‎વિસ્તારમાં ઓનલાઈન ક્રિકેટ‎સટ્ટાબાજી ચલાવતા એક શખ્સને‎ઝડપી લીધો હતો. આરોપી‎આશિષભાઇ ઉર્ફે પુનીયા‎રતિલાલભાઈ શાહ (ઉ.વ. 48),‎રહે. સિદ્ધ શીલા એપાર્ટમેન્ટ,‎કાનપુરા, વ્યારા, પોતાની ગ્રે‎કલરની હોન્ડા એક્ટીવા મોપેડ પર‎ફરતા ફરતા અલગ-અલગ‎જગ્યાએ ઉભો રહી મોબાઈલ‎મારફતે ક્રિકેટ સટ્ટો રમાડતો‎હોવાની માહિતી મળી હતી.‎ બાતમીના આધારે એલસીબી‎પીઆઇ જે.બી. આહીર અને સ્ટાફે‎સોમવારે સાંજે 5.30 વાગ્યે વ્યારા‎કાનપુરા વિસ્તારમાં જનક ત્રણ‎રસ્તા નજીક પેટ્રોલિંગ દરમિયાન‎આશિષ શાહને તેની મોપેડ સાથે‎ઉભેલો જોયો હતો. તપાસ કરતા‎તેના મોબાઈલમાં ક્રિકેટ સટ્ટાની‎એપ્લિકેશનની આઈડી ચાલતી‎હોવાનું સામે આવ્યું હતું.‎પૂછપરછમાં આરોપીએ ગ્લોબલ‎7777 તથા ઝૂમ લાઈન‎એપ્લિકેશન મારફતે હાલ ચાલી‎રહેલી ટી-20 અને અંડર-19‎એશિયા કપ સહિતની ક્રિકેટ‎મેચોમાં રન, ઓવર, સેશન અને‎હારજીત પર રૂપિયા લગાવી‎ઓનલાઈન સટ્ટો રમતો અને‎રમાડતો હોવાનું કબૂલ્યું હતું.‎ તપાસમાં ગ્લોબલ 7777‎એપ્લિકેશનની આઈડીમાં રૂ.‎23,22,750નું બેલેન્સ જોવા મળ્યું‎હતું. વધુ પૂછપરછમાં આ સટ્ટા‎નેટવર્કમાં ઉદયભાઇ (રહે.‎બોટાદ), રઇસભાઇ (રહે.‎નવાપુર, જિ. નંદુરબાર,‎મહારાષ્ટ્ર), સાહીલભાઇ અને‎ભુરીયાભાઇ (બન્ને રહે. વાપી,‎ )‎તેમજ ફોન દ્વારા સટ્ટો રમાડનાર‎બજરંગભાઇ ઉર્ફે હેનિલ ઉર્ફે‎રાકેશ (રહે. રાંદેર, સુરત)ની‎સંડોવણી બહાર આવી હતી.‎પોલીસે તમામ પાંચ આરોપીઓને‎વોન્ટેડ જાહેર કરી જામદાર‎ગણપતસિંહ બારીયાની‎ફરિયાદના આધારે વ્યારા પોલીસ‎મથકે ગુનો નોંધ્યો છે. આ‎કાર્યવાહી દરમિયાન રોકડ રૂ.‎1,890, એક મોબાઈલ ફોન અને‎મોપેડ મળી કુલ રૂ. 36,890નો‎મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.‎

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 7:00 am

મશીન હાલ ઘણા સમયથી બંધ હાલતમાં:વાંસદા જનસેવા કેન્દ્રમાં લાખોના ખર્ચે વસાવેલું ટોકન વેન્ડિંગ મશીન બંધ હાલતમાં

વાંસદા તાલુકા સેવા સદનમાં કાર્યરત જનસેવા કેન્દ્રમાં લાખોના ખર્ચે વસાવેલું ટોકન વેન્ડિંગ મશીન છેલ્લા ઘણાં સમયથી ધૂળ ખાઈ રહ્યું છે, જેના કારણે સામાન્ય જનતાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાંસદા તાલુકા સદનમાં અરજદારો માટે મુકાયેલ ટોકન વેન્ડિંગ મશીનનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે આધાર કાર્ડ, આવકના દાખલા કે રેશન કાર્ડ જેવા મહત્વના કામો માટે આવતા લોકોએ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે નહીં. અરજદારો માત્ર એક બટન દબાવીને પોતાનો વેઈટિંગ નંબર મેળવી શકે અને પોતાનો વારો આવે ત્યાં સુધી આરામથી બેસી શકે પરંતુ તંત્રની ઘોર બેદરકારીને કારણે આ મશીન હાલ ઘણા સમયથી બંધ હાલતમાં છે. મશીન બંધ હોવાને કારણે ડિજિટલ વ્યવસ્થા ઠપ્પ થઈ છે. પરિણામે દૂર-દૂરના ગામોમાંથી આવતા ગરીબ અને આદિવાસી અરજદારોએ વહેલી સવારથી જ બારીઓ પર લાંબી કતારોમાં ઉભા રહેવું પડે છે. જે કામ ટોકન પદ્ધતિથી શિસ્તબદ્ધ અને પારદર્શક રીતે થઈ શકતું હતું, તે હવે ધાંધલ-ધમાલ અને અંધાધૂંધી વચ્ચે થઈ રહ્યું છે. વૃદ્ધો અને મહિલાઓએ કલાકો સુધી ઉભા રહેવું પડતા રોષ જોવા મળી રહ્યો છે. તાલુકા કક્ષાના ઉચ્ચ અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દરરોજ આ કચેરીની મુલાકાત લેતા હોવા છતાં કોઈએ આ ધૂળ ખાતા મશીન તરફ જોવાની તસ્દી લીધી નથી. પ્રશ્ન એ થાય છે કે,શું અધિકારીઓને પ્રજાની હાલાકી દેખાતી નથી?સરકારી મિલકતનો આવો બગાડ ક્યાં સુધી ચાલશે ?શું માત્ર કાગળ પર જ ડિજિટલ ઇન્ડિયા સિમિત છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 6:28 am

ભાસ્કર ફોલોઅપ:લોકાર્પણના મહિના પછી પણ નવસારીનું ફાયર સ્ટેશન હજુ ‘લોકોને અર્પણ’ નહીં

નવસારીમાં મોડલ ફાયર સ્ટેશન લોકાર્પણ થયાના મહિના પછી પણ ‘લોકોને અર્પણ' થયું નથી. નવસારી શહેરમાં 14.80 કરોડના માતબર ખર્ચે વાજપાયી ગાર્ડન નજીક મનપાનું મોડેલ ફાયર સ્ટેશન, સ્ટાફ ક્વાટર્સ બનાવાયું છે. અહીંના વિશાળ પરિસરમાં ફાયર સાધનો મૂકવાની, ઓફિસ, પાર્કિંગ, ગાર્ડન, સ્ટાફ ક્વાટર્સ વગેરે સુવિધા ઉભી કરવામાં આવી છે. પાલિકા હતી ત્યારે આ કામની શરૂઆત થઈ હતી. હાલમાં 16 નવેમ્બરના રોજ આ સ્ટેશનનું લોકાર્પણ કેન્દ્રીય જળસંપતિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર.પાટીલના હસ્તે કરાયું હતું. લોકાર્પણ એટલે લોકોને અર્પણ માનીએ તો સ્ટેશન તુરંત શરૂ થવાની આશા હતી પણ લોકાર્પણનો મહિનો થવા છતાં તે સ્થળે શરૂ કરાયું નથી. આ બાબતે મનપાના ફાયર વિભાગમાં તપાસ કરતા જાણવા મળ્યું કે હજુ ફાયર સ્ટેશનમાં ફર્નિચર સહિતનું કેટલુંક કામ બાકી હોય ત્યાં સ્ટેશન કાર્યરત હજુ થયું નથી.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 6:22 am

નશીલા પદાર્થોનો વેપલો કરનાર સામે પોલીસે લાલ આંખ કરી‎:નવસારીમાં પ્રતિબંધિત ‘ગોગો પેપર'- રોલિંગ કોન વેચતા 21 વેપારી ઝબ્બે

નવસારી જિલ્લામાં પાનના ગલ્લા, ચા ની દુકાનો અને કરિયાણાના સ્ટોર્સમાં પ્રતિબંધિત રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનનું વેચાણ કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. નવસારી જિલ્લા પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરી 21 ગુના દાખલ કરતા જિલ્લાના વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. તાજેતરમાં પાન પાર્લર અને અન્ય દુકાનોમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી ચીજવસ્તુના સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ સૂચનાને લઈ ક્રાઇમ બ્રાન્ચના સિનિયર પીઆઇ વી.જે. જાડેજા અને એસઓજીએ બાતમીદારો સક્રિય કરી નશીલા પદાર્થોના સેવનમાં વપરાતી આ સામગ્રી પકડવા કાર્યવાહી કરી હતી. આદેશના પગલે એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમોએ નવસારી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન પાન-પાર્લરો અને કરિયાણાની દુકાનોમાં તપાસ કરતા અનેક સ્થળેથી પ્રતિબંધિત રોલિંગ પેપર અને કોનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે જાહેરનામાનો ભંગ કરવા બદલ બીઆઇએસ કલમ મુજબ 21 કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવાધનને નશાની લતથી બચાવવા જિલ્લા પોલીસે હાથ ધરેલી કાર્યવાહી યુવાધનને નશાની લતથી બચાવવા માટે આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ પાન પાર્લરો અને છુટક દુકાનો પર પોલીસનું આકસ્મિક ચેકિંગ ચાલુ રહેશે. જો કોઈ વેપારી આવી પ્રતિબંધિત ચીજવસ્તુઓનું વેચાણ, સંગ્રહ કે હેરાફેરી કરતા ઝડપાશે તો તેની સામે કડક કાયદાકીય પગલાં ભરવામાં આવશે તેવી ચીમકી પણ પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 6:21 am

માં ની આંખ સામે જ દીકરો ઢળી પડ્યો:નવસારી કૃષિ યુનિ.માં ચોકીદારે તીક્ષ્ણ હથિયારથી શ્રમજીવી યુવકને 8 ઘા ઝીંક્યા

નવસારી કૃષિ યુનિવર્સિટીમાં મજૂરી કામ કરતા શ્રમજીવી પરિવારના યુવાનની ચોકીદાર સાથે ગેટ બંધ કરવા સમય બાબતે વિવાદ થતા ચોકીદારે યુવાનના શરીરે તીક્ષ્ણ હથિયારથી ઉપરાછાપરી ઘા ઝીંકી દેતા યુવાનનું મોત થયું હતું. ફરાર આરોપીના સંબંધી અને સિક્યુરીટીના એજન્સીના સંચાલકની પોલીસે પૂછતાછ કરી હતી. નવસારી કૃષિ યુનિવર્સિટીમાં શ્રમજીવી તરીકે કામ કરતા તાપી જિલ્લાના ડોલવણના ઘણા વર્ષોથી સુમનભાઈ ચૌધરી તેમની પત્ની સુમિત્રાબેન, દીકરો દીપકભાઈ (ઉ.વ. 35) ફાર્મના ગેટ નંબર-3 પાસે રહી મજૂરી કામ કરતા હતા. તેઓ મંગળવારના રોજ રાબેતા મુજબ સાંજે શાકભાજી લઈને સાંજે પરત ઘરે આવતા હતા. દરમિયાન ગેટ નંબર-3 પર ચોકીદાર તરીકે ફરજ બજાવતા ગૌરવ જગદીશ પટેલ (રહે. આટ,તા.જલાલપોર)એ શ્રમજીવી યુવાન દીપક ચૌધરીને કહ્યું કેમ મોડા આવ્યા. આ બાબતે દીપક અને ગૌરવ વચ્ચે અગાઉથી સમય પાબંદીને લઈ અદાવત સાથે ઝઘડો થયો હતો. ચોકીદાર ગૌરવ પટેલ તીક્ષ્ણ હથિયારથી દીપક ચૌધરી ઉપર તૂટી પડી માથા, છાતી, પીઠ સહિત બગલના ભાગે ઘા ઝીંકી દઈ ભાગી ગયો હતો. આગળ નીકળી ગયેલી દીપકની માતા સુમિત્રાબેને પુત્ર નહીં આવતા તેને જોવા જતા દીપક ઘાયલ અવસ્થામાં દોડતો દોડતો આવીને ફસડાઈ પડ્યો હતો. પરિવારે ઘાયલ દીકરા દીપક ચૌધરીને સારવાર માટે લઈ જાય એ પહેલા જ મોત થયાનું 108ના તબીબોએ તપાસી જણાવ્યું હતું. ચોકીદાર હત્યા કરીને ભાગી ગયો હતો. આવાગમન મુદ્દે શ્રમજીવીઓ સાથે અવારનવાર ચોકીદાર બાખડી પડતો હતોજલાલપોરના આટ ગામે રહેતા ગૌરવ જગદીશ પટેલના લગ્ન થયા અને સંતાન હોવાની માહિતી મળી છે. ગેટ નંબર-3 ઉપર ફરજ બજાવતા ચોકીદાર ગૌરવ પટેલ 7 વાગ્યા સુધીમાં આવી જવું તેમ આવતા જતા યુનિવર્સિટીના મજૂરોને પણ ગભરાવતો હતો.જેને લઇ મજુરી કામ કરતા લોકોએ ફરિયાદ પણ કરી હોવાની માહિતી મળી છે. મર્ડર કર્યા બાદ પોતાનું વાહન અને કપડા ઘટના સ્થળે મૂકી ભાગી ગયો હતો, ઝનૂનમાં આવી આઠ ઘા મારતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ચોકીદાર મોપેડ અને કપડા મુકી ફરારકૃષિ યુનિવર્સિટીના ગેટ નંબર-3 ઉપર ફરજ બજાવતો આરોપી ગૌરવ પટેલ દ્વારા મજૂરોને 7 વાગ્યા પહેલા ગેટની અંદર આવી જવું તેમ વારંવાર કહેતો હતો. મંગળવારે પણ સાંજે આખો પરિવાર શાકભાજી લઈને ઘરે પરત આવ્યા બાદ ગૌરવ સાથે દીપકની કોઈ બાબતે ગાળાગાળી બાદ ગેટ નજીક અંધારામાં જઈ ગૌરવે તીક્ષ્ણ હથિયાર કાઢી દીપક ચૌધરી પર અચાનક હુમલો કર્યો હતો. જેમાં મૃતકના શરીરે આઠ ઘા ઝીંકી દીધા ત્યારબાદ આરોપી ચોકીદાર તેમની એક્ટિવા મોપેડ અને પહેરેલા કપડા ત્યાં જ મૂકી ફરાર થઈ ગયો, ત્યારબાદ મોબાઈલ સ્વીચ ઓફ કરી ભાગી ગયો હતો. > ડી.ડી. લાડુમોર, પીઆઇ, જલાલપોર

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 6:20 am

ગેસ સ્ટેશનનો અભાવ:મમુઆરાથી છેક માળીયા સુધી સીએનજી ગેસ સ્ટેશનનો અભાવ

કચ્છએ ગુજરાતના મહત્વપૂર્ણ પર્યટન કેન્દ્રમાં માનો એક છે. જ્યાં દર વર્ષે લાખો પ્રવાસી આવે છે. પરંતુ પર્યટનની આ ચમકધમકની વચ્ચે મોરબીના માળિયાથી પૂર્વ કચ્છમાં છેક મમુઆરા સુધીના 118 કિલોમીટરના માર્ગ પર સીએનજી પંમ્પ નથી ! પર્યટકો વાહન લઇને નિકળી તો પડે છે પણ જ્યારે સીએનજી ભરાવવાનો વિચાર કરી મેપ ઓન કરે છે તો ચોંકી ઉઠે છે. કારણ કે ગૂગલ મેપ નેવિગેશન પર દર્શાવતી તસવીર મુજબ માળિયા, સામખિયાળી, ભચાઉથી મમુઆરા સુધીના લાંબા રૂટ પર એકપણ સીએનજી પંપ દર્શાતો નથી. ખાસ કરીને સીએનજી વાહનોની સંખ્યા સતત વધી રહી છે પરંતુ લાંબા અંતર સુધી ફ્યુઅલ સુવિધાનો અભાવ પ્રવાસીઓમાં અસુરક્ષા અને અવિશ્વાસ પેદા કરી શકે છે. રતનાલ બાદ અંજારથી માળીયા સુધી પણ કયાંય સીએનજી ગેસ સ્ટેશન નથી. બહારના પ્રવાસીઓ ગૂગલ મેપ પર વિશ્વાસ રાખીને આવે છે. પોતાના પૂરા પરિવાર સાથે કોઈ પ્રવાસીઓ આવે અને ગેસ સમાપ્ત થઈ જાય તો આ વિસ્તારમાં તેમને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી શકે છે. ગેસ સમાપ્ત થાય તો પેટ્રોલ પર વાહન ચલાવી શકાય છે પરંતુ સીએનજીના વધતા ઉપયોગ છતાં સુવિધા ઉપલબ્ધ નથી. આ રસ્તાઓ પર ગેસ સ્ટેશનની વ્યવસ્થા થાય તો રોજિંદી મુસાફરી અને પર્યટન બંને સુરક્ષિત બની શકે છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 6:03 am

'વીર પરિવાર સહાય યોજના’ અંગે માર્ગદર્શન અપાયું:દેશના વીર જવાનો અને તેમના પરિવારજનોને કાનૂની સહાયતા માટે મદદ કરવામાં આવશે

જિલ્લા ન્યાયાધીશ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા ભુજ આર્મી સ્ટેશનના સહયોગથી મિલિટરી સ્ટેશન ખાતે ‘માનવ અધિકાર દિવસ’ની ઉજવણીના ભાગરૂપે વિશેષ કાનૂની જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ,નવી દિલ્હી દ્વારા અમલમાં મુકાયેલી ‘વીર પરિવાર સહાય યોજના 2025’ અંગે ઉપસ્થિત જવાનો અને અધિકારીઓને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન અપાયું હતું. ઉપસ્થિત જવાનોને સંબોધતા મુખ્ય અતિથિ તરીકે આવેલા જજ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ બી.એમ.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર જવાનો અને તેમના પરિવારજનોને કાનૂની હક, સહાયતા અને ન્યાય સુલભ બને તે માટે રાષ્ટ્રીય અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં છે. ‘વીર પરિવાર સહાય યોજના” હેઠળ શહીદ જવાનોના પરિવારજનોને મફત કાનૂની સહાય, વળતર યોજનાઓ અંગે માર્ગદર્શન, દસ્તાવેજીકરણમાં સહાય તેમજ કાયદેસર હકો માટે સહકાર આપવામાં આવે છે. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષ દિલીપ પી.મહીડાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં પેનલ એડવોકેટ પી.ડી.ધોળકિયાએ માનવ અધિકારોના મહત્વ અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમજ રાષ્ટ્રીય અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા ઉપલબ્ધ મફત કાનૂની સેવાઓ અંગે અવગત કરાવ્યા હતા. કાર્યક્રમમાં પ્રશ્નોત્તરી સત્ર પણ યોજાયું હતું. જેમાં જવાનોના કાનૂની સહાય અને વિવિધ યોજનાઓના સંબંધિત પ્રશ્નોના સ્થળ પર જ ઉકેલ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં કર્નલ શિરીષ સિંઘ એસ.એસ.ઓ, લે.કર્નલ વિક્રમ ડી.ક્યુ.એમ.જી., મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી એચ.એન.લિમ્બાચીયા, મુખ્ય કારકુન સંજય કુમાર પંડયા તેમજ સુપ્રિટેન્ડેન્ટ હેત પરમાર સહિત સૈનિક વેલ્ફેર ઓફિસના અધિકારીઓ તેમજ કર્મચારીયો હાજર રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ રાષ્ટ્રરક્ષકો તથા તેમના પરિવારજનોને તેમના ન્યાયિક અધિકારોથી અવગત કરવા અને ન્યાયિક સુલભતા સુનિશ્ચિત કરી તેમનું સશક્તિકરણ કરવાનું હતું.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 6:01 am

રણમાં સન્નાટો, વિચિત્ર અવાજો અને 28 કલાકનો સંઘર્ષ:અમદાવાદના ડૉક્ટર કપલે જીતી ખતરનાક ગણાતી ધ હેલ રેસ; 161 કિમીની સફરનો જણાવ્યો રોચક અનુભવ

ચારે તરફ ઘોર અંધારૂં અને સન્નાટો હતો....મને વિચિત્ર અવાજો સંભળાતા હતા.... આ શબ્દો છે યુવા ડૉક્ટર તેજસ્વીની શેઠના અને અનુભવ છે સૌથી ખતરનાક ગણાતી હેલ રેસનો. જ્યારે રાજસ્થાનના જેસલમેરની વાત આવે ત્યારે આપણાં મનમાં સૌથી પહેલાં ત્યાંનો સોનર કિલ્લો, થારનું રણ અને હવેલીઓ ફરવાનો વિચાર આવે પણ અમદાવાદના એનેસ્થેસિયોલોજિસ્ટ ડૉક્ટર દંપતીને આનાથી જુદો જ વિચાર આવ્યો. તેમણે જેસલમેરમાં યોજાતી સૌથી ખતરનાક 'નર્ક' જેવી ગણાતી રેસમાં ભાગ લેવાનું નક્કી કર્યું. અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ હાર ન માનીને 161 કિલોમીટરની રેસ સમય કરતાં પહેલાં પૂરી કરી લીધી. આ રેસ પૂરી કરનારૂં ગુજરાતનું પહેલું અને દેશનું બીજું કપલ બની ગયું છે. સારા સારા એથ્લિટ્સ પણ જે રેસને અધવચ્ચે છોડી દે છે તે ધ હેલ રેસ શું છે? આ રેસનું આયોજન શા માટે કરવામાં આવે છે? અમદાવાદી ડૉક્ટર દંપતીને રેસમાં ભાગ લેવાનો વિચાર કેવી રીતે આવ્યો? આ માટે કેવા પ્રકારની મહેનત કરવી પડે છે? રણમાં બપોરની ગરમી અને રાત્રિની ઠંડીનો કેવો અનુભવ થયો? તે જાણવા દિવ્ય ભાસ્કરે અમદાવાદના ડૉક્ટર દંપતી ચિંતન શેઠ અને તેજસ્વીની શેઠ સાથે ખાસ વાતચીત કરી હતી. સૌથી પહેલાં તો હેલ રેસ વિશે ટૂંકમાં જાણી લો. 'ધ હેલ રેસ' આ નામ જ તેની ભયાનકતા વર્ણવે છે. આને હેલ રેસ એટલા માટે કહેવાય છે કારણ કે તે ખૂબ જ ખતરનાક હોય છે. દુર્ગમ જગ્યાઓ પર રેસનું આયોજન થાય છે તે પછી ભલે હિમાલયના પહાડો હોય કે રાજસ્થાનનું રણ હોય. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે વર્ષ 2018થી ધ બોર્ડરઃ જેસલમેર ટુ લોંગેવાલા રેસ યોજાય છે. આ રેસ જેસલમેરથી પાકિસ્તાન નજીક આવેલી લોંગેવાલા બોર્ડર સુધી કુલ 100 માઇલ્સ એટલે કે 161 કિલોમીટરમાં યોજાય છે. જેમાં 3 પ્રકારની કેટેગરી હોય છે. પહેલી કેટેગરી 8 કલાકમાં 50 કિલોમીટરની હોય છે. બીજી કેટેગરી 16 કલાકમાં 100 કિલોમીટરની હોય છે. જ્યારે ત્રીજી કેટેગરી 28 કલાકમાં 161 કિલોમીટરની હોય છે. રેસમાં 18થી 65 વર્ષના સ્પર્ધકો હતાઆ વખતે યોજાયેલી હેલ રેસમાં દેશભરમાંથી 18થી 65 વર્ષના 1200 કરતાં વધારે લોકોએ ભાગ લીધો હતો. 500 થી વધારે સ્પર્ધકો 50 કિલોમીટરની રેસમાં હતા. 400થી વધારે 100 કિલોમીટર સુધીની રેસમાં જ્યારે 300થી વધારે સ્પર્ધકો 161 કિલોમીટરની રેસમાં હતા. દિવસે ગરમી અને રાત્રે ઠંડીચારેતરફ રણ વચ્ચે દિવસે બળબળતી ગરમી અને રાત્રે કડકડતી ઠંડીનો અનુભવ થાય છે. આવા વાતાવરણ સામે ટકી રહેવું એક મોટો પડકાર હોય છે. રેસ ખરા તડકે બપોરે 12 વાગ્યે ચાલુ થાય છે. રેસમાં જોડાવા પાછળના ઉદ્દેશ્ય વિશે વાત કરતાં ડૉ. ચિંતન શેઠે કહ્યું, હું અને મારી પત્ની ડૉ. તેજસ્વીની લગભગ છેલ્લા આઠેક વર્ષથી રનિંગ સાથે જોડાયેલા છીએ. હાલમાં જ અમે બે વાર 100 કિલોમીટરની રન પૂર્ણ કરી છે. જેના પછી અમારા આત્મવિશ્વાસમાં વધારો થયો. 'અમને વિચાર આવ્યો કે આનાથી વધારે કિલોમીટરનો ટાસ્ક લેવો છે. જેથી અમે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું તો ધ્યાને આવ્યું કે આ પ્રકારની હેલ રેસ યોજાય છે. જેથી તેમાં ભાગ લેવાનું નક્કી કર્યું હતું.' કોચે હસતાં હસતાં કહ્યું રજિસ્ટ્રેશન કરાવી દોડૉ. તેજસ્વીની શેઠ જણાવે છે કે, અદાણી શાંતિ ગ્રામમાં જ્યારે નાઇટ અલ્ટ્રા રનમાં ભાગ લીધો ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે મારે 100 કિલોમીટરની રેસમાં ભાગ લેવો છે. જ્યારે અમે હેલ રેસમાં રજિસ્ટ્રેશન કરવા માટે બેઠા તો ધ્યાને આવ્યું કે 100 કિલોમીટરની રેસમાં રજિસ્ટ્રેશન પૂરા થઇ ગયા છે. ખાલી હવે 100 માઇલની રેસમાં જ રજિસ્ટ્રેશન બાકી હતું. 'અમે અમારા મેન્ટર અમિત ભટ્ટાચાર્યને કહ્યું કે હવે 100 માઇલની રેસ માટે જ જગ્યા બાકી છે તો તેમણે હસતાં હસતાં કહ્યું કે કોઇ વાંધો નહીં, તમે રજિસ્ટ્રેશન કરાવી દો. આ સમયે હું અને મારા પતિ બંને એક બીજા સામે જોઇને વિચારવા લાગ્યાં હતા કે 161 કિલો મીટર!' ડુ ઓર ડાય રેસડૉ. ચિંતન શેઠે રેસ માટેના રજિસ્ટ્રેશન સમયની વાતને યાદ કરી. તેમણે કહ્યું, રેસ અંગે નેટ પર ઉપલબ્ધ માહિતી વાંચી તો તેમાં લખેલું હતું કે આ તો ડુ ઓર ડાય (કરો યા મરો) રેસ છે. અહીં નર્ક જેવો અનુભવ થશે જેમાંથી તમારે સફળતા મેળવવાની છે. આ રેસ બપોરે 12 વાગ્યે શરૂ થાય. 'રેસ રણમાં યોજાય એટલે પુષ્કળ ગરમીની અનુભૂતિ થાય. રણમાં 35 ડિગ્રી ગરમી હોય પણ એવું લાગે કે જાણે આપણે 45 ડિગ્રી ગરમીમાં દોડી રહ્યાં છીએ. બપોરે જેટલી ગરમી પડે તેટલી જ કડકડતી ઠંડી રાત્રે પડે કેમ કે ચારેય બાજું ખુલ્લા મેદાનો હોવાના કારણે અહીં પુષ્કળ ઠંડી લાગે.' રેસના 9 મહિના પહેલાથી તૈયારી શરૂ કરી દીધીડૉ. ચિંતન શેઠ રેસનું ફોર્મ ભર્યા બાદની તૈયારીઓ વિશે કહે છે, ફોર્મ ભર્યા પછી કોચ અમિત ભટ્ટાચાર્યના માર્ગદર્શન હેઠળ 9 મહિના પહેલાથી જ અમે પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. કોચ અમને વિકલી શિડ્યુલ બનાવીને આપતા હતા. 'શરૂઆતના તબક્કે અઠવાડિયામાં અમે 20થી 25 કિલોમીટર દોડતાં હતા એ પછી ધીમે ધીમે તેમાં વધારો કરતાં ગયા. રવિવારના દિવસે 30થી 35 કિલોમીટર દોડતાં હતા. સાથે જ યોગા, મેડિટેશન અને સ્ટ્રેન્થનિંગ ઉપર પણ એટલો જ ભાર આપતાં હતા.' હવે આ ડૉક્ટર દંપતીએ રેસના અનુભવની વાત કહી. ડૉ. ચિંતન શેઠે કહ્યું, જ્યારે અમે રેસના સ્ટાર્ટિંગ પોઇન્ટ પર પહોંચ્યાં ત્યારે એડવેન્ચર કરવા જઇ રહ્યાં છીએ તેવી એક ફિલ આવતી હતી. અમારી આસપાસ આર્મીના ઘણાં જવાનો હતા. આર્મીના બ્રિગેડિયરે રેસનું ફ્લેગ ઓફ કર્યું હતું. ત્રણેય કેટેગરીના રનર્સનું એકસાથે ફ્લેગ ઓફ થયું હતું. 50 કિલોમીટર સરળતાથી કપાઇ ગયા'પહેલાં તો બધા સાથે હતા એટલે ગરમી તરફ ધ્યાન ન ગયું પણ જેમ જેમ બધા પોતાની સ્ટ્રેટેજી પ્રમાણે દોડતા ગયા અને આગળ પાછળ થવા લાગ્યા એટલે ગરમી ઉપર ધ્યાન ગયું અને તેનો અનુભવ થવા લાગ્યો. શરૂઆતના 50 કિલોમીટર સુધીનો રન ખૂબ જ સરળ લાગ્યો પણ હાઇડ્રેશન અને ન્યુટ્રિશનનું ખૂબ જ ધ્યાન રાખવું પડ્યું હતું.' 'મારૂં વજન 64 કિલો છે એટલે મારે શરીરીને મેન્ટેન રાખવા માટે દર કલાકે 60થી 70 ગ્રામ ગ્લૂકોઝ, 1.5 થી 2 ગ્રામ સોડિયમ સાથે પોટેશિયમ અને દોઢ થી બે લિટર પાણીની જરૂરિયાત પડતી હતી.' ડૉ. તેજસ્વીની શેઠે કહ્યું કે, જ્યારે રેસ ચાલુ થઇ ત્યારે મારે કોઇપણ નેગેટિવિટી લાવ્યા વગર ફક્ત દોડવા પર જ ફોકસ કરવાનું હતું. એ સમયે મારા મનમાં એવું ક્યાંય નહોતું કે હું આ રેસમાં કેમ દોડી રહી છું. કેટલાક કિલોમીટર ખૂબ જ મુશ્કેલીભર્યાં હતા પણ મારે તેનો અનુભવ કરવો હતો. રેસ દરમિયાન રાતના અંધકારમાં સન્નાટા વચ્ચે કેવા-કેવા અનુભવો થયા તેની વાત ડૉ. તેજસ્વીનીએ કહી. સન્નાટામાં વિચિત્ર અવાજો સંભળાતા હતા'100 કિલોમીટર દોડ્યાં પછી ખબર નહીં કે એકદમ શું થઇ ગયું? હું ડલ થઇ ગઇ હતી. આ રેસને સમયસર પૂર્ણ કરવા માટે હું મારા પતિને અવાર નવાર કહેતી કે આપણે હજી વધારે ભાગવું પડશે, આપણે આટલા પાછળ છીએ ત્યારે તેઓ મને રિલેક્સ થઇને દોડવાનું કહેતાં હતાં.' 'થોડા સમય પછી એવું થયું કે મારી સ્પીડ વધુ હોવાના કારણે હું આગળ જતી રહી અને તે પાછળ રહી ગયાં. આવા સમયે મારા પતિને પણ થયું હતું કે તેજસ્વીની વધારે આગળ જતી રહેશો તો મને દોડવામાં તકલીફ પડશે પછી અમે નક્કી કર્યું હતું કે અમે સાથે જ રેસ પૂરી કરીશું.' 'જ્યારે રાતનો સમય થયો ત્યારે ચારેય બાજુ અંધારું હતું. એટલો સન્નાટો હતો કે કેટલાક વિચિત્ર અવાજો પણ સંભળાતા હતા. કેટલીકવાર તો એવું લાગ્યું કે આસપાસમાં કોઇ છે પણ પછી જેવી હેડલાઇટ એ બાજુ લઇ જઇએ તો કોઇ જ ન હોય.' 'આ દરમિયાન મને પગમાં કોઇ ઇજા થઇ અને પગ ભયંકર દુખવા લાગ્યો. એટલી હદે દુખાવો થતો હતો કે પગ ઉપડી શકે તેમ નહોતો. હું ખૂબ જ ટેન્શનમાં આવી ગઇ હતી. મેં ડેવિસ ગોગિન્સ નામના અલ્ટ્રા રનરને યાદ કર્યાં. તેમને પડેલી મુશ્કેલીઓ મેં વાંચી હતી એટલે તેમને રિકોલ કરી દવા લીધી અને ફરી રન કરવાનું શરૂ કરી દીધું.' 25 મિનિટ દોડવાની, 5 મિનિટ ચાલવાની સ્ટ્રેટેજીડૉ. ચિંતને કહ્યું, રાત્રે ઠંડક વધવાની સાથે પાણીનો ઉપયોગ ઓછો થવા લાગ્યો. પહેલાં હું દોઢ લીટર પાણી સાથે રાખીને દોડતો હતો પછી તે ઘટાડીને મેં 750 મિલી કરી દીધું. જ્યારે રેસની શરૂઆત કરી ત્યારે મેં અને મારી પત્નીએ એક સ્ટ્રેટેજી નક્કી કરી હતી કે 25 મિનિટ દોડવાનું અને એ પછી પાંચ મિનિટ વોક કરવાનું. 'આ સ્ટ્રેટેજી અમે 75 કિલોમીટર સુધી ફોલો કરી હતી. જેના પછી થાક લાગવાનું પ્રમાણ વધતાં અમે વોકિંગ વધારે કરવાનું નક્કી કર્યું હતું. 60 કિલોમીટરનું અંતર કાપીને અમે કપડાં ચેન્જ કર્યા હતા. વધુ 40 કિલોમીટર પછી અમારે ફરીથી કપડાં ચેન્જ કરવા પડ્યાં હતા. દર 10 કિલોમીટરે રિલેક્સેશન સ્ટેશન હતા. જ્યાં ફૂડથી લઇને કોઇપણ તકલીફ હોય તો મદદ મળી શકતી હતી.' રાતે 3 વાગ્યે 100 કિલોમીટરની રેસ પૂરી થઇ'અહીં શરૂઆતથી લઇને એન્ડ પોઇન્ટ સુધી એક પણ સ્ટ્રીટ લાઇટ નહોતી. માથા પર લગાવેલી લાઇટના આધારે જ આગળનો રસ્તો જોઇ શકાતો હતો. 100 થી 120 કિલોમીટર સુધી અમે માત્ર વોક જ કર્યું હતું કેમ કે એક બાજુ થથરી જવાય એવી ઠંડી હતી તો બીજી બાજું ઝોકાં પણ આવતાં હતા.' રેસ દરમિયાન આ દંપતીએ ખતરનાક સ્થિતિનો પણ સામનો કરવો પડ્યો. 130 કિલોમીટર પછી ખરી કસોટી શરૂ થઇડૉ. ચિંતને કહ્યું, 130 કિલોમીટરની રન પછી મારો ખરો પડાવ શરૂ થયો હતો. મને શ્વાસ ચઢવાનું શરૂ થયું, કફિંગ પણ થઇ ગયું. આવામાં મારે સ્પીડ પણ ઘટાડવી પડી હતી. અત્યાર સુધી હું અને મારી વાઇફ સાથે દોડી રહ્યાં હતા પણ અહીંથી અમારા બંનેનો સાથ છૂટી ગયો. મેં તેને કહ્યું કે તું આગળ વધ, હું ધીરે ધીરે પાછળ આવુ છું. હવે આપણે 161 કિમીની ફિનિશ લાઇન ઉપર જ મળીશું. 'આ સમયે મને લાગ્યું કે હું હવે આ રેસ પૂરી નહીં કરી શકું પણ ફરી મેં મારી જાતને મોટિવેટ કરીને નક્કી કર્યું કે ગમે તે થાય એ રેસને પૂરી તો કરવી જ છે. અંતે મેં રેસ તો પૂરી કરી જ પણ મારી વાઇફે મારા કરતાં પણ એક કલાક પહેલાં રેસ પૂરી કરી હતી.' 'રેસમાં સૌથી મહત્વની બાબત એ રહીં કે અહીં બપોરે 35 ડિગ્રી તાપમાન હતું પણ સૂર્ય એકદમ સામે હોવાના કારણે 45 ડિગ્રી જેટલી ગરમીનો અનુભવ થઇ રહ્યો હતો. જ્યારે રાત્રે 10 સેલ્સિયસ તાપમાન હતું છતાં પણ જાણે કે 3 થી 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય તેવો અનુભવ થયો હતો.' કપરી સ્થિતિમાં છેલ્લા 10 કિલોમીટરની સફર કેવી રહી? તે વિશે ડૉ. તેજસ્વીનીએ કહ્યું કે, જ્યારે છેલ્લા 10 કિલોમીટરની રેસ બાકી હતી ત્યારે મનમાં એવું થયું કે હવે તો માત્ર 10 કિલોમીટર જ છે ને આ તો ચાલતા પૂરૂં થઇ જાય. જેથી મેં વોક કરવાનું શરૂ કર્યું તો મને ઊંઘ આવવાની શરૂ થઇ ગઇ હતી. પતિનો ફોન સ્વીચ ઓફ થયો ને ચિંતા વધી'આ પછી મેં મારી આગળ દોડી રહેલાં રનર્સને ધ્યાનમાં રાખીને દોડવાનું શરૂ કર્યું. જેના પછી એક એક રનરને પાછળ છોડતી ગઇ અને છેવટે આ રેસ મેં પૂરી કરી લીધી. મેં રેસ પૂર્ણ કરી એ પછી મને એકદમ વિચાર આવ્યો કે મારા પતિ ક્યાં છે? મેં તેમને ફોન કર્યો પણ તેમનો ફોન સ્વીચ ઓફ આવવા લાગ્યો હતો.' 'આ સમયે સતત વિચાર આવવા લાગ્યો કે તે ક્યાં હશે? બધું બરાબર તો છે ને? કંઇ થઇ તો નહીં ગયું હોય ને? પણ રેસ પૂરી થવાને લગભગ એકાદ કલાકનો સમય બાકી હશે એ પહેલાં જ તેમણે ફિનિશ લાઇન પાર કરી લીધી હતી. ત્યારે થયું કે આ રેસ પૂરી કરવાનો અમારો સંકલ્પ ભગવાને જ પૂરો કરાવ્યો છે.' 'નર્કની નહીં, સ્વર્ગની રેસ છે'ડૉ. ચિંતન શેઠે કહ્યું, છેલ્લા 30 થી 40 કિલોમીટરનો અનુભવ તો ખૂબ જ અલગ રહ્યો કેમ કે એ ટ્રેક એલિવેશનવાળો હતો. જ્યારે લગભગ 300 મીટરનું અંતર બાકી હતું ત્યારે મને સામે ફિનિશ લાઇન દેખાઇ. આ જોઇને મારી સ્પીડ વધવા લાગી હતી. આ ક્ષણે મને એટલો આનંદ હતો કે દુનિયાની કોઇપણ વસ્તુ મને તેટલો આનંદ ન આપી શકે. આ રેસનું નામ ભલે નર્કની રેસ કહેવાય છે પણ મારા માટે તો ખરેખર સ્વર્ગની રેસ હતી. સામાન્ય રીતે જ્યારે કોઇ વ્યક્તિ રેસમાં જાય ત્યારે ઓછામાં ઓછો સામાન સાથે રાખે છે જેથી સામાનનો એકસ્ટ્રા વજન ન લાગે પણ આ રેસ બાકીની રેસ કરતાં અલગ હતી. આમાં ભાગ લેનારા તમામ લોકોએ ફરજિયાત કેમલ બેગ લગાવવાની હતી. આ અંગેનો અનુભવ વર્ણવતા ડૉ. ચિંતન શેઠ કહે છે કે, આ રેસમાં મેં પાછળ એક કેમલ બેગ લગાવી હતી. પોકેટમાં બન્ને બાજુએ પણ પાણીની બોટલ સાથે રાખી હતી એટલે અંદાજે મેં બેથી અઢી કિલો વજન સાથે આ રેસ પૂર્ણ કરી હતી. વોકિંગ કે દોડવું એ આ ડૉક્ટર દંપતીના જીવનનો ભાગ જ નહોતો. તેમણે ભૂતકાળમાં કેવી રીતે શરૂઆત કરી હતી તે પણ કહ્યું. ડૉ. ચિંતન કહે છે, આજથી આઠેક વર્ષ પહેલાં હું વોકિંગ પણ નહોતો કરતો એટલે દોડવું એ મારા જીવનનો ભાગ નહોતો. જેથી મારૂં વજન વધી ગયું હતું. મને બ્લડ પ્રેશરની બીમારી શરૂ થઇ ગઇ હતી, હૃદયના ધબકારા પણ અચાનક વધવા લાગ્યા હતા. 'ડૉક્ટર હોવાના લીધે મને એ ખબર હતી કે જો મારા શરીરમાં આવું ને આવું ચાલ્યું તો હાર્ટ એટેક કે પછી ડાયાબિટિસનું જોખમ વધી શકે છે. જેથી મેં શરૂઆતમાં વોકિંગ કરવાનું શરૂ કર્યું. થોડા સમય પછી વોકિંગમાંથી જોગિંગ અને તેમાંથી રનિંગ સુધી મારી સફર પહોંચી હતી. વજન ઘટાડવા માટે મેં ડાયટ પ્લાન શરૂ કર્યો હતો. રનિંગ શરૂ કર્યાના એક જ વર્ષમાં બ્લડ પ્રેશરની દવા બંધ થઇ ગઇ. હાર્ટના ધબકારા અને બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં આવી ગયા.' દરરોજ 45 મિનિટ દોડવાનો સંકલ્પડૉ. તેજસ્વીનીએ ઉમેર્યું, જ્યારે હું કોલેજમાં ભણતી હતી ત્યારે અમારી હોસ્ટેલની સામે જ એક ગ્રાઉન્ડ હતું. શરૂઆતના દિવસોમાં હું ત્યાં ચાલવા માટે જતી એ પછી ધીરેધીરે મેં દોડવાનું શરૂ કર્યું હતું ત્યારે મેં નક્કી કર્યું હતું કે હું દરરોજ 45 મિનિટથી એક કલાક દોડીશ. 'લગ્ન બાદ માતા બન્યાં પછી પણ મેં આ ટેવ ચાલુ રાખી છે. આનો બધો જ શ્રેય હું મારા સાસુને આપવા માંગુ છું કેમ કે જ્યારે એક સ્ત્રી લગ્ન કરીને નવા પરિવારમાં જાય છે ત્યારે તેના માટે સૌથી પહેલી પ્રાયોરિટી તેનો પરિવાર હોય છે. મારા સાસુનો મને પૂરો સપોર્ટ મળી રહ્યો છે. તેઓ મને સામેથી કહે છે કે તું પ્રેક્ટિસ કર, હું બધું મેનેજ કરી લઇશ. આ મારા માટે ખૂબ મોટિવેશન છે.' આ રેસ યોજાવા પાછળનો હેતુ જણાવતાં ડૉ. ચિંતન શેઠે કહ્યું, 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. જેમાં ભારતની પંજાબ રેજિમેન્ટના 120 જવાનોએ દુશ્મન દેશ પાકિસ્તાનના 2 હજારથી વધુ સૈનિકો અને ટેન્કરોનો આખી રાત સામનો કર્યો હતો. સવાર પડતાં જ ભારતીય વાયુ સેનાએ મોરચો સંભાળ્યો હતો અને આપણો વિજય થયો હતો. આ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે હેલ રેસ યોજાય છે. વિશ્વાસ નામના આર્મીના પૂર્વ જવાન દ્વારા આ રેસ યોજાય છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 6:00 am

પશુહત્યા રોકવા સુરતી એન્જિ.નો નવો આવિષ્કાર:સફરજનના વેસ્ટમાંથી તૈયાર કર્યું 'વિગન લેધર', ભાવમાં પણ અસલ ચામડા કરતાં 75 ટકા સસ્તું

સુરતના 34 વર્ષીય સિવિલ એન્જિનિયર અને MBA ડિગ્રી હોલ્ડર રવિરાજ દેસાઈએ જૈન ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાયના 'અહિંસા' અને 'જીવદયા'ના સિદ્ધાંતોને પ્રેરણા બનાવીને એક અનોખા 'વિગન લેધર'નો આવિષ્કાર કર્યો છે. જ્યુસ ફેક્ટરીઓમાં ફેંકાતા 50થી 80 ટન સફરજનના વેસ્ટમાંથી એન્જિનિયરે બેસ્ટ ક્વોલિટીનું 'એપલ લેધર' તૈયાર કર્યું છે. પરંપરાગત ચામડાની સરખામણીએ 75% સસ્તું અને 15-17 વર્ષની આવરદા ધરાવતા આ લેધરે પશુહત્યાને અટકાવવા લેધર ઉદ્યોગને અહિંસક વિકલ્પ આપ્યો છે. ધર્મના મૂલ્યોને ટેક્નોલોજી સાથે જોડીને બિઝનેસ મોડેલ રજૂ કર્યુંસુરતી એન્જિનિયર રવિરાજના આ ઈનોવેશનની જો વાત કરીએ તો આ વિચાર પાછળ તેમના પારિવારિક અને ધાર્મિક સંસ્કારોનો મોટો ફાળો છે. આજના આધુનિક યુગમાં જ્યાં ફેશન માટે લાખો પશુઓનો ભોગ લેવાય છે ત્યારે તેઓએ ધર્મના મૂળભૂત મૂલ્યોને ટેકનોલોજી સાથે જોડીને એક અહિંસક બિઝનેસ મોડેલ દુનિયા સમક્ષ રજૂ કર્યું છે. પહાડી રાજ્યના કચરાને કિંમતી સંસાધનમાં ફેરવી દીધો રવિરાજ દેસાઈ મૂળ સુરતના વતની છે, પરંતુ તેમણે પોતાનો પ્રોસેસિંગ પ્લાન્ટ હિમાચલ પ્રદેશમાં સ્થાપ્યો છે. આનું મુખ્ય કારણ કાચા માલની સરળ ઉપલબ્ધતા છે. હિમાચલ પ્રદેશમાં સફરજનનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થાય છે અને જ્યુસ ફેક્ટરીઓમાંથી નીકળતો વેસ્ટ ત્યાં સહેલાઈથી મળી રહે છે. સુરતની વ્યવસાયિક કુશળતા અને બિઝનેસ વિઝનનો ઉપયોગ કરીને રવિરાજે પહાડી રાજ્યના આ કચરાને કિંમતી સંસાધનમાં ફેરવી દીધો છે. વેસ્ટ સફરજનમાંથી લેધર તૈયાર કરવા દોઢ-બે વર્ષ મહેનત કરીસામાન્ય રીતે આપણે ડાઇનિંગ ટેબલ પર જે સફરજન ખાઈએ છીએ, તે ઉચ્ચ ગુણવત્તાના હોય છે પરંતુ, લગભગ 50% સફરજન એવા હોય છે, જે પક્ષીઓએ ખાધેલા હોય અથવા કુદરતી રીતે પડી જવાથી દાગી થઈ ગયા હોય. આવો 50થી 80 ટન જેટલો વેસ્ટ દર મહિને ફેંકી દેવામાં આવતો હતો. રવિરાજે આ વેસ્ટ સફરજનને એકઠા કરીને તેમાંથી લેધર બનાવવાની પ્રક્રિયા પર છેલ્લા દોઢ-બે વર્ષ સુધી સખત મહેનત કરી છે. આ પ્રોસેસ સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડલી છે, તેના ટ્રેડમાર્ક માટે ભારત સરકારમાં અરજી પણ કરવામાં આવી છે. વિગન લેધર સસ્તું હોવા છતાં લક્ઝરી ફેશન જેવો જ લુક બજારમાં ઉપલબ્ધ પશુના ચામડાની સરખામણીએ વિગન લેધર આર્થિક રીતે પણ ઘણું પરવડે એવું છે. બજારમાં અસલ ચામડાની કિંમત 100 હોય તો આ એપલ લેધર માત્ર 25માં તૈયાર થાય છે. આમ, સસ્તું હોવા છતાં તે લક્ઝરી ફેશન જેવો જ લુક અને ફીલ આપે છે, જે તેને સામાન્ય લોકો અને મોટી બ્રાન્ડ્સ બંને માટે આકર્ષક લેધર બનાવે છે. વિગન લેધરની આવરદા અંદાજે 15થી 17 વર્ષ સુરતી એન્જિનિયર રવિરાજના જણાવ્યા અનુસાર આ એપલ લેધરની આવરદા અંદાજે 15થી 17 વર્ષ જેટલી છે. અત્યારે લેબોરેટરી ટેસ્ટિંગમાં તેની લાઈફ અને મજબૂતીના પરિણામો સારા મળી રહ્યા છે. સામાન્ય વિગન લેધર (જે પ્લાસ્ટિક કે સિન્થેટિક હોય છે)ની સરખામણીએ આ નેચરલ પ્રોડક્ટ હોવાથી પર્યાવરણને નુકસાન પહોંચાડતી નથી અને લાંબો સમય ટકી રહે છે. ખાવાની સાથે હવે પહેરવેશમાં પણ વિગનનો વિકલ્પરવિરાજ દેસાઈનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વભરમાં 'વિગન કોન્સેપ્ટ'ને લોકપ્રિય બનાવવાનો છે. જે રીતે આજે લોકો ખાવામાં વિગન બની રહ્યા છે તેમ પહેરવેશમાં પણ પરિવર્તન લાવવું જરૂરી છે. તેઓ સમગ્ર હિમાચલના સફરજનના વેસ્ટને એકત્રિત કરીને મોટાપાયે ઉત્પાદન કરવાનું લક્ષ્ય ધરાવે છે. આ પ્રયાસથી પશુહત્યા અટકશે અને ભારત લેધર ઉદ્યોગમાં એક નવી અને અહિંસક ઓળખ પ્રસ્થાપિત કરશે. આ પ્રોજેક્ટ સ્થાનિકોને પણ રોજગાર પૂરો પાડશેરવિરાજ દેસાઈએ જણાવ્યું હતું કે,સફરજન બે પ્રકારના હોય છે. એક જે ટેબલ વેરાયટી છે જે આપણે ખાઈએ છીએ પરંતુ, 50% સફરજન એવા હોય છે જે પક્ષીઓએ ચાંચ મારી હોય, દાગી હોય અથવા નેચરલ રીતે પડી ગયા હોય. આ સફરજન વેસ્ટ જાય છે. અમે દર મહિને 50થી 80 ટન આવો વેસ્ટ એકઠો કરીએ છીએ. આગામી સમયમાં સમગ્ર હિમાચલ પ્રદેશના સફરજનના વેસ્ટને એકઠો કરી તેને 'એપલ સ્પિરિટ' અને 'એપલ લેધર'માં ફેરવવાનું લક્ષ્ય ધરાવે છે. આ પ્રોજેક્ટથી સ્થાનિકોને રોજગારી પણ મળી રહી છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 6:00 am

દુનિયાનાં 40 બેસ્ટ લોકેશન અમદાવાદમાં ઊભાં કર્યાં:‘ગીતા રબારી, કિંજલ દવેથી લઇ પ્રતીક ગાંધી સહિતના સ્ટાર્સ અમારે ત્યાં શૂટ કરવા આવે છે’

‘અમે રિસર્ચ કરીને શરૂઆતમાં લગભગ 4,000 વારમાં દુનિયાભરનાં બેસ્ટ લોકેશન્સવાળી 15-20 થીમ સાથે સ્ટુડિયો બનાવવાની શરૂઆત કરી. બીજા ફિલ્મ સિટીની જેમ થર્મોકોલ અને પ્લાયવાળા ખોખલા નહીં, પણ સિમેન્ટ-પથ્થરથી નક્કર ઓરિજિનલ સેટ બનાવ્યા. સાથે સ્ટુડિયોમાં જ લગભગ 24 જેટલા રૂમ બનાવ્યા. 2019માં અમે આ સ્ટુડિયો ‘La Fabuloso’ લોન્ચ કર્યો. એ વખતે અમદાવાદમાં આ પ્રકારનો કોઈ સ્ટુડિયો હતો જ નહીં એટલે અમારો સ્ટુડિયો બહુ ઝડપથી લોકોની પસંદગી બની ગયો.’ આપણાં ગુજરાતીઓ દુનિયાના ખૂણે ખૂણે ફરીને ધંધો કરવા માટે ફેમસ છે, પણ આ ગુજરાતીએ તો ધંધો કરવા માટે પૂરી દુનિયાને અમદાવાદમાં લાવી દીધી! આ અમદાવાદી પિતા-પુત્રીએ બધા જ બિઝનેસ છોડી એવો નવો આઇડિયા શોધ્યો કે, કોમન મેનથી લઈ ફિલ્મી કલાકારો સુધીના દરેકના શૂટિંગના પ્રશ્નો સોલ્વ કરી નાખ્યા. IT ફિલ્ડ છોડી યુવા આંત્રપ્રેન્યોર શિમોલી શાહે તેમના પિતા સૌરીનભાઈ સાથે મળીને અમદાવાદના પાદરે એવો અનોખો સ્ટુડિયો બનાવ્યો કે, જેમાં એક જ લોકેશન પર તમને દેશ-દુનિયાના 40થી પણ વધુ આબેહૂબ લોકેશન મળી રહે. તો ચલો, ‘સ્ટાર્ટઅપ સ્ટોરીઝ’ના આજના એપિસોડમાં જાણીએ આ યુનિક બિઝનેસ વિશે… હીરાથી પથ્થર સુધી તમામ કામો કરીને આગળ આવ્યા મૂળ અમદાવાદના જ સૌરીનભાઈએ વાતની શરૂઆત કરી, ‘ભણવામાં મને એટલો રસ નહોતો એટલે હું ગ્રેજ્યુએશન પૂરું ન કરી શક્યો, એટલે ધંધામાં ઝંપલાવ્યું. 1999 સુધી બિલ ડિસ્કાઉન્ટથી લઈ હીરા સુધી ઘણાં બધાં કામ કર્યાં. ત્યારથી 2008 સુધી આનંદજી કલ્યાણજી પેઢી સાથે જોડાયો અને પાલીતાણા ડુંગર પરનાં મંદિરો બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો. 2008માં અહીં નળ સરોવર પાસે એક સ્કીમમાં પાર્ટનરશિપ કરી અને બાદમાં 2020 સુધી પ્લોટના લે-વેચનો બિઝનેસ અને કોન્ટ્રાક્ટરનું કામ કર્યું. આ બધા વચ્ચે મારી દીકરી શિમોલીએ ITમાં અહીંથી ગ્રેજ્યુએશન કરી ન્યૂ યોર્ક, USAમાં માસ્ટર્સ પૂરું કર્યું. પણ મારી દીકરી સિંગલ ચાઇલ્ડ હતી એટલે માસ્ટર્સ પૂરું કરી ઈન્ડિયા રિટર્ન આવી અને અહીં જ સેટ થવાનું નક્કી કર્યું.’ ‘દીકરી એક્ઝેક્ટ 365મા દિવસે નોકરીમાં રિઝાઇન આપીને આવી’ સૌરીનભાઈએ વાત ચાલુ રાખી, ‘દીકરીએ ITમાં માસ્ટર્સ કરેલું હતું એટલે મારા જ એક મિત્રની કંપનીમાં ITની જોબ શરૂ કરી. પણ ITમાં સમય પુષ્કળ આપવો પડતો હતો એટલે એ કંટાળી ગઈ કે મારે એ જોબ નથી કરવી. પણ મેં સમજાવી કે શરૂઆત તો આવું લાગશે, થોડો ટાઈમ આપ, એકાદ વર્ષ કામ કર એટલે બધું બરોબર થઈ જશે. શિમોલીએ મારી વાત માની, પણ એને મજા નહોતી આવતી. એટલે એક વર્ષ પછી એક્ઝેક્ટ 365મા દિવસે એની ઓફિસમાં રિઝાઇન આપીને જ ઘરે આવી અને મને કહ્યું કે મેં જોબ છોડી દીધી છે. હવે એને બિઝનેસ કરવો હતો, પણ IT ફિલ્ડમાં એને ઇન્ટરેસ્ટ જ નહોતો.’ ફૂડ ટ્રક, કેફે જેવા અઢળક ઓપ્શન પછી પ્રિ-વેડિંગનો આઇડિયા આવ્યો તો આ ITથી સાવ અલગ આ સ્ટુડિયો બનાવવાનું કઈ રીતે વિચાર્યું? સૌરીનભાઈ કહે, ‘શિમોલીને ITમાં રસ નહોતો એટલે મેં છૂટ આપી કે, કોઈ વાંધો નહીં. તારે જે ફિલ્ડમાં બિઝનેસ કરવો હોય એ કર. શરૂઆતમાં એ થોડા ઓપ્શન લઈને આવી કે, આપણે ફૂડ ટ્રક સ્ટાર્ટ કરીએ, CCD જેવી કૉફી શોપ કરીએ કે કોઈ ફૂડનો બિઝનેસ કરીએ. એટલે મેં કહ્યું કે, જો તારે ફૂડ ટ્રક જ કરવો હોય તો એ માટે આખો દિવસ આપવો પડશે, સવારે 5 વાગ્યે શાકભાજી અને બધો સામાન લેવા જવું પડશે, એ તું કે હું જવાનાં નથી. ત્યાંથી લઈ વાનગીઓ બનાવવા સુધી બધાં જ કામ કારીગર જ કરવાનાં છે. તો એ કામ તો કોઈ ₹25 હજારની જોબમાં પણ કરી આપે, તારું એમાં યોગદાન શું રહે? એટલે પછી એણે ફરી બીજા ઓપ્શન વિચારવાના શરૂ કર્યા. એવો કોઈ પ્લાન હતો કે, પ્રિ-વેડિંગને લઈ કંઇક કરીએ. થોડું રિસર્ચ કર્યું તો ખબર પડી કે આપણે આ પ્રકારનો અલગ અલગ બેકડ્રોપ ધરાવતો વિશાળ સ્ટુડિયો બનાવી શકીએ.’ નવો આઇડિયા, જૂનો અનુભવ મળીને બન્યો અનોખો સ્ટુડિયો આ ફિલ્ડ તો તમારા અનુભવ બહારનું હતું, તો કેવી રીતે તૈયારી કરીને ઝંપલાવ્યું? સૌરીનભાઈ કહે, ‘2018માં અમે દિલ્હી જઈને ત્યાં આ પ્રકારના બે-ચાર સ્ટુડિયો જોઈ આવ્યાં. બધું જોયું એટલે શ્યોર થયું કે આ પ્રકારનો સ્ટુડિયો આપણે બનાવી તો શકીએ. સાણંદ-નળ સરોવર રોડ પર મારી પાસે એક પ્લોટ પડ્યો હતો, જેમાં હું પાર્ટનર હતો. અને પાલીતાણામાં મેં ટેમ્પલ કોન્ટ્રાક્ટર તરીકે કામ પણ કર્યું હતું એટલે કન્સ્ટ્રક્શનનો તો મને અનુભવ હતો જ. એટલે આ તરફ બિઝનેસ વધારવાનું શરૂ કર્યું. પ્લસ, કંઇક નવું બનાવવું એ મારો શોખનો વિષય છે. એટલે અમે સારી સારી જગ્યાઓની રેપ્લિકા બનાવવાનું શરૂ કર્યું.’ આખી દુનિયા ફર્યા હતા, પછી દુનિયાને અમદાવાદમાં લાવ્યા કઈ કઈ થીમ શરૂઆતમાં બનાવી હતી? સૌરીનભાઈ કહે, ‘અમને ફરવાનો ભારે શોખ, એટલે દુનિયાના અલગ અલગ દેશોમાં અમે ફર્યા હતા એ બધું યાદ કર્યું. એ ફોટોઝ તો અમારી પાસે હતા જ, સાથે અત્યારે તો ગૂગલ પર પણ જે માગો તે બધું મળી જ રહે છે. એટલે એ બધું રિસર્ચ કરી શરૂઆતમાં લગભગ 4,000 વારમાં સ્ટુડિયો બનાવવાની શરૂઆત કરી અને 15-20 થીમ બનાવી. પણ બીજા ફિલ્મ સિટીમાં જેમ થર્મોકોલ અને પ્લાય વાપરીને તૂટી જાય તેવા ખોખલા સેટ બનાવે છે, મેં એવું કરવાને બદલે બધું જ ઓરિજિનલ, સિમેન્ટ-પથ્થરથી નક્કર બનાવ્યું. અને સાથે સ્ટુડિયોમાં જ લગભગ 24 જેટલા રૂમ બનાવ્યા. તેની પાછળનો આઇડિયા એવો હતો કે ભવિષ્યમાં જો કદાચ આ બિઝનેસ ન ચાલે તો એને અમે રિસોર્ટ તરીકે તો ચલાવી જ શકીએ. 2019માં અમે આ સ્ટુડિયો ‘La Fabuloso’ લોન્ચ કર્યો. એ વખતે અમદાવાદમાં આ પ્રકારનો કોઈ સ્ટુડિયો હતો જ નહીં એટલે અમારો સ્ટુડિયો બહુ ઝડપથી લોકોની પસંદગી બની ગયો.’ રાજસ્થાનના પેલેસ અમદાવાદમાં ઉભા કર્યા 2019માં તો કોરોના આવી ગયો હતો, તો શરૂઆતમાં જ લોકોની ઘટ ન પડી? સૌરીનભાઈ કહે, ‘એ તો આખી દુનિયાને પ્રોબ્લેમ થયો હતો, એટલે એ વાતનાં રોદણાં રડવાનો કોઈ મતલબ નથી. અમે તો કોરોના પછી સ્ટુડિયોને મોટો કરવાની શરૂઆત કરી. આજુબાજુની જમીનો લઈ સ્ટુડિયોમાં ઉમેરવાનું શરૂ ર્ક્યું. દર વર્ષે નવા નવા ચાર-પાંચ સેટ ઉમેરવાની શરૂઆત કરી. બે વર્ષ પહેલાં લાગ્યું કે લોકો પ્રિ-વેડિંગ વગેરેનાં શૂટ કરવા માટે રાજસ્થાનનાં લોકેશન્સ પર શૂટ કરવા વધારે જાય છે. તો અમે રાજસ્થાનના જેસલમેરનો પેલેસ, સાહેલીઓ કી બાડી બનાવી, જયપુર સિટી પેલેસ, જોધપુર સ્ટ્રીટ બનાવી. ઘણાંને ગાર્ડન શૂટ કરવું હોય છે, તો એમના માટે અમે ગાર્ડન પણ બનાવ્યા. એમ કરતાં કરતાં ‘લા ફેબ્યુલોસો’ અત્યારે ગુજરાતમાં સૌથી વધુ થીમ ધરાવતો સ્ટુડિયો બની ગયો છે. અમારા સ્ટુડિયોમાં અત્યારે 10-15 ઇન્ડિયન થીમ અને 25થી વધુ ઇન્ટરનેશનલ થીમ છે. એમાં પણ અમારી પાસે 7 ઇન્ડોર સેટ છે, જે ગુજરાતમાં કોઈ પાસે નથી. તેમાં બેડરૂમ, બાથરૂમ, કિચન, લાઇબ્રેરી બધું જ છે. એ સિવાય રેડ વેલ્વેટ થીમ છે, જેમાં સબ્યાસાચી (ફેશન ડિઝાઇનર) જેવા રજવાડી હૉલ પણ છે.’ અમદાવાદમાં ઇટાલીનો અનુભવ આગળ સ્ટુડિયો વિશે વાત કરતાં સૌરીનભાઈ કહે, ‘અમારી ખાસિયત એ છે કે, અમે દરેક રેપ્લિકાની આસપાસનું ઇન્ટિરિયર પણ અદ્દલ સેમ જ બનાવ્યું છે. જેમ કે, ઇટાલીના ફેમસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન આલ્બેરોબેલોની થીમ બનાવી હોય, તો એના ફ્લોરથી લઈ છત સુધી અને આજુબાજુનું વાતાવરણ પણ એવું જ બનાવીએ છીએ. એટલે કોઈ ફોટો પડાવે તો એ કોઈ ડમી સ્ટુડિયો કે રેપ્લિકાનો નહીં, પણ એક્ચ્યુઅલ લોકેશન પર જ પડાવ્યો હોય એવું જ લાગે. બીજું, કે અમે ચોખ્ખાઈનું પુષ્કળ ધ્યાન રાખીએ છીએ. ચાર માણસો સતત સફાઇ માટે જ તૈનાત હોય છે. ઉપરથી શિમોલી અથવા હું, બેમાંથી એક ત્યાં સ્ટુડિયો પર સતત હાજર જ હોઈએ છીએ. જેથી ક્વોલિટીમાં કોઈ જ કોમ્પ્રોમાઇઝ ન થાય કે પ્રોપર્ટીને કોઈ નુકસાન પણ ન પહોંચે. જેનું રિઝલ્ટ એ આવ્યું કે, અત્યારે આખા ગુજરાતના ફોટોગ્રાફરોનો આ ફેવરિટ સ્ટુડિયો છે. એવો કોઈ ફેમસ ફોટોગ્રાફર નહીં હોય જેણે અહીં શૂટ નહીં કર્યું હોય. અમારા 20% કસ્ટમર તો ગુજરાત બહારથી જ આવે છે.’ હવે અમે સવાલોનું સુકાન શિમોલી શાહ તરફ ફેરવ્યું. શિમોલી, તમે અત્યારે ફુલ ટાઈમ સ્ટુડિયો જ ચલાવો છો? શિમોલી જવાબ આપતાં કહે, ‘હા, મોટે ભાગે તો સ્ટુડિયો મેનેજમેન્ટ પર જ મારું ફોકસ હોય છે, પણ જ્યારે સ્ટુડિયો બની રહ્યો હતો, ત્યારે મને મેકઅપ કોર્સ કરવાની ઈચ્છા થઈ તો લંડન જઈને આઠ મહિનાનો મેકઅપ કોર્સ કર્યો. તો અત્યારે સાથે સાથે હું પ્રોફેશનલ મેકઅપનું પણ કામ કરું છું.’ ગુજરાતની ધરતી, યુરોપિયન થીમ્સ અને સ્પેનિશ નામ સ્ટુડિયોની વાત કરીએ તો અત્યારે ટોટલ કેટલી થીમ હશે? સૌરીનભાઈ કહે, ‘શરૂઆતમાં અમે 10-12 થીમથી જ શરૂઆત કરી હતી, પણ અત્યારે છ વર્ષે લગભગ 50થી વધુ થીમ છે. એ હેન્ડલ કરવા સાફસફાઇ-માળી કામ માટે 6 માણસો અને ઓફિસ વર્ક માટે અહીં ત્રણ માણસો રેગ્યુલર રાખેલા છે. બાકી તો આ સિઝનલ બિઝનેસ છે. લગ્ન સિઝન સિવાય એટલા બધા કસ્ટમર નથી હોતા એટલે અમે માણસો પણ એ જ રીતે કોન્ટ્રાક્ટ પર રાખીએ છીએ.’ આ ‘લા ફેબ્યુલોસો’ જેવા ફેબ્યુલસ નામ પાછળની સ્ટોરી શું છે? શિમોલી કહે, ‘શરૂઆતમાં ‘સૌરીન ફિલ્મ સિટી’ કે ‘શિમોલી ફિલ્મ સિટી’ જેવાં ઘણાં નામ વિચાર્યાં હતાં. પણ કંઈ મજા નહોતી આવતી. અમે જ્યારે સ્ટુડિયો બનાવી રહ્યાં હતાં ત્યારે થયું હતું કે, લોકો આ જોશે તો એમ જ કહેશે કે, ‘વ્હોટ અ ફેબ્યુલસ પ્લેસ!’ એટલે થયું કે ફેબ્યુલસ જ નામ રાખીએ. પણ એ બરોબર બેસતું નહોતું એટલે થયું કે કોઈ બીજી ભાષામાં નામ રાખીએ. સામે અમારી પાસે જેટલી પણ થીમ છે, એમાં સૌથી વધુ યુરોપિયન થીમ છે, એટલે યુરોપિયન નામ વિચાર્યાં અને સ્પેનિશ ભાષામાં ‘લા ફેબ્યુલોસો’ નામ ફાઇનલ કર્યું.’ કાર, તોપ, હોડી, વૃક્ષો જેવાં 200થી વધુ પ્રોપ્સનો ખજાનો આવા તો ઘણા ફોટો સ્ટુડિયો હશે, પણ ‘લા ફેબ્યુલોસો’માં એવી તે શું ખાસિયત છે? સૌરીનભાઈ અને શિમોલી કહે, ‘સૌથી મોટી બાબત કે અમે બધું ઓરિજિનલ જ તૈયાર કર્યું છે. જે રીતે ઘર બનાવતા હોઇએ એવી જ રીતે એકદમ ઝીણવટપૂર્વક દરેક થીમ બનાવી છે. બીજું કે, અમે સનલાઇટનું ખાસ ધ્યાન રાખ્યું છે, જે કોઈ નથી વિચારતું. તમે અમારા જેસલમેર પ્લેસ પર સવારે કે સાંજે શૂટ કરતા હો તો સૂર્યપ્રકાશ પ્રોપર આવશે. ગ્રીસનું સેન્ટોરિની છે, એની પાછળ એકદમ બ્લુ રંગનો દરિયો ઘૂઘવે છે. તો તેના પરથી થીમ બનાવતી વખતે પાછળ આખું કોરું બ્લુ આકાશ દેખાય એનું ખાસ ધ્યાન રાખ્યું છે. અલ્બેરોબેનોના પથ્થર ખાસ હોય છે, એ માટે અમે આખું ગુજરાત ફર્યાં હતાં. આખરે છેક પોરબંદરમાંથી અમને એવા જ પથ્થર મળી ગયા, જે દેખાવમાં એકઝેક્ટ સેમ લાગતા હતા. આવી નાની નાની બાબતોનું કોઈ ધ્યાન નથી રાખતું, જે અમે રાખ્યું છે. ઉપરથી જે જે થીમ રાખી છે, એ દરેક થીમને રિલેટેડ પ્રોપર્ટીઝ જેમ કે જીપ, ઘોડા, બગી, ગાયો, ફૂલ-છોડ, ફર્નિચર જેવાં 200થી વધુ પ્રોપ્સ રાખ્યાં છે. જેથી ત્યાં શૂટ કરનારને એકદમ રિયલ લોકેશનની જ ફીલ આવે. જેમ કે વેનિસ શહેર પાણીની ઉપર વસેલું છે, તો એ થીમમાં આપણે વચ્ચે રિવર અને બોટ પણ રાખી છે. જેસલમેરની વાત કરીએ તો એ થીમમાં ફાયબરની તોપ લાવીને મૂકી છે.’ ‘રાજસ્થાનીઓ રાજસ્થાન છોડીને અહીં શૂટ કરવા આવે છે!’ તો આ બધું બનાવવા માટેના કારીગરો? સૌરીનભાઈ કહે, ‘રાજસ્થાનની જેટલી થીમ છે, એ બધી જ થીમ બનાવવા માટે કારીગરો પણ બધા રાજસ્થાનથી જ લાવ્યા હતા. બાકી ઇન્ટરનેશનલ થીમ અહીંના લોકલ કારીગર પાસે કરાવી છે. પરંતુ હું પહેલાં આર્કિટેક્ટ જ હતો, એટલે આ બધું કામ તો સારી રીતે કરાવી શકું છું. બીજું કે મારાં જૂનાં મંદિરોના કારીગરો હતા, એમને પણ બોલાવ્યા અને મોટા મોટા ડોમ બનાવી ઉપર કારીગરી કરાવી, જેમાં તમને સ્ટોન જેવું જ ફીલ થાય. એમાં પણ રાજસ્થાની થીમ તો એટલી સરસ બની છે કે, રાજસ્થાની પબ્લિક પણ એમનું શૂટ કરવા અહીં આવે છે. કેમ કે ત્યાં જો ઓરિજિનલ પેલેસ પર જાય તો ત્યાં પાર વિનાની પબ્લિક હોય. ઉપરથી શૂટ કરવામાં પણ જાતભાતની મર્યાદાઓ નડે, એટલે શાંતિથી શૂટ ન થઈ શકે. એના બદલે અહીં આવે તો કોઈ ઝંઝટ જ નહિ.’ ‘પ્રતીક ગાંધીથી કિંજલ દવે, ગીતાબેન રબારી સહિતના સ્ટાર્સ અહીં શૂટ કરી ગયાં છે’ આગળ વાત કરતાં શિમોલી કહે, ‘ખાલી પ્રિ-વેડિંગ જ નહીં, ઘણા બધા સ્ટાર્સ પણ અહીં શૂટ માટે આવે છે. જાણીતા એક્ટર પ્રતીક ગાંધી, સિંગર જિગરદાન ગઢવી, એક્ટ્રેસ દીક્ષા જોશી, ભક્તિ કુબાવત, સિંગર કિંજલ દવે, ગીતાબેન રબારી, ગમન સાંથલ, વિજય સુવાળા, હાસ્યકાર સાંઈરામ દવે, સિંગર ઓસમાણ મીરથી લઈ રેપર એમીવે બંટાઇ સહિતની ઘણી બધી સેલિબ્રિટિઝ અમારે ત્યાં આવી ગઈ છે. સિંગર્સ તો ઓલમોસ્ટ બધા જ આવી ગયા હશે.’ ‘કોઈ સ્ટાર્સની કોલેબ ઑફર્સ આવે છે?’ સૌરીનભાઈ કહે, ‘આવે છે પણ અમે એક્સેપ્ટ નથી કરતાં, કેમ કે એનો ફાયદો ફક્ત એમને જ થાય છે. એટલે અમે એક્સેપ્ટ નથી કરતાં.’ ગુજરાતી ફિલ્મોનાં શૂટિંગ અહીં નથી થતાં કારણ કે... ફિલ્મોના શૂટ માટે સ્ટુડિયો આપો છો? સૌરીનભાઈ એક જ ઝટકે ના પાડતાં કહે, ‘બિલકુલ નહીં, એ લોકો બહુ જ ગંદકી કરી મૂકે છે. એક વાર ગુજરાતી ફિલ્મ માટે આપેલું. એ પછી ના પાડી દીધી. કેમ કે એક સાથે 70-80 લોકોનું ધાડું આવે અને પાનની પિચકારીઓથી લઈ બધું ભરી મૂકે છે. એ સાફ કરતાં અમારે ત્રણ-ચાર દિવસ નીકળી જાય છે. એટલે હવે આપતા જ નથી.’ તમારા સ્ટુડિયોમાં શૂટ માટેનાં કોઈ રૂલ્સ રેગ્યુલેશન ખરાં? સૌરીનભાઈ કહે, ‘હા, હા, 100%! રાખવા જ પડે ને. અમે એક શૂટ માટે 8 માણસોથી વધુ કોઈને એન્ટ્રી નથી આપતા. ઉપરથી જે કપલનાં શૂટ માટે આવ્યા હોય, એમની સાથે આવેલાં એમના કોઈ ભાઈ-બહેનને પણ શૂટ કરવાની પરમિશન નથી. કોઈ જગ્યાએ ગંદકી કે ન્યૂસન્સ નહિ ચલાવવામાં આવે. એ બધા જ નિયમો પાળવા જ પડે. બાકી સર્વિસ અને લોકેશન અમારા ત્યાં બેસ્ટ મળશે, પણ રૂલ્સ સ્ટ્રિક્ટ જ રહેશે. બાકી અમે ક્વોલિટી સર્વિસ આપવા માટે દર વર્ષે કશુંક ને કશુંક નવું નવું એડ કરતાં રહીએ છીએ. અમારા 80% કસ્ટમર એવા હોય છે કે, જેમને અહીં શૂટ કરીને કોઈ ગયું હોય એમણે સજેસ્ટ કર્યું હોય.’

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 6:00 am

કાર્યવાહી:મોટા બાંધામાં લીઝની બહાર ગેરકાયદે થતું લાઇમસ્ટોન (બેલા)નું ખનન પકડાયું

તાલુકાના મોટા બાંધામાં લાઇમસ્ટોન ખનીજનું ખનન પકડાયું હતું જેમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા લિઝની માપણી કરવામાં આવી છે. ભુજ તાલુકાના મોટા બાંધા ગામની સીમમાં આવેલ લાઈમસ્ટોનની લીઝમાં ખનન ચાલુ છે અને તે લીઝની બહાર ખોદકામ થતું હોવાની બાતમીના આધારે ભુજ એલસીબી દ્વારા તપાસ કરવામાં આવી હતી ત્યારે લીઝની બહાર બે ટ્રક મળી આવી હતી. ટ્રક નંબર જીજે 13 વી 3754 તથા જીજે 18 યુ 6384માં લાઈમસ્ટોન (બેલા) ભરેલા હતા.જેની રોયલ્ટી લિઝધારક પાસે ન મળી આવતા લીઝની માપણી કરવા માટે ભુજ ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી અને સ્થાનિકે બોલાવી લિઝની માપણી કરાવી આગળની કાર્યવાહી ખાણ ખનીજ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે હાલ બંને ટ્રકને પોલીસ દ્વારા સીઝ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 5:58 am

કચ્છનું ગૌરવ:પાન્ધ્રોની ડૉ. ડિમ્પલે 14 નવી દરિયાઇ પ્રજાતિ શોધી : એકનું નામ કચ્છ પરથી રાખ્યુ બિબ્લીસ કચ્છેન્સિસ !

આજે જ્યારે દીકરીઓ આકાશ આંબી રહી છે, ત્યારે કચ્છના ગ્રામ્ય વિસ્તારની એક દીકરીએ દરિયાના ઊંડાણમાં છુપાયેલા રહસ્યો ઉકેલીને મહિલા સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના જુલોજી વિભાગની સંશોધક ડૉ. ડિમ્પલ ઠક્કરે ‘એમ્ફીપોડ’ (દરિયાઈ જીવ) પર સંશોધન કરી વિજ્ઞાન જગતમાં નવી પ્રજાતિ શોધી વિશ્વ ફલેક પર ગુજરાતની નારી શક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. એમ્ફીપોડ એ દરિયામાં પથ્થરો અને લીલ વચ્ચે રહેતા અત્યંત સૂક્ષ્મ માત્ર 1 થી 2 સેન્ટીમીટર કદના જીવો છે. ડૉ. ડિમ્પલ ઠક્કરે તેમના માર્ગદર્શક ડૉ. જિગ્નેશકુમાર ત્રિવેદી સાથે મળીને 2021 માં પોતાનું સંશોધન ચાલુ કર્યું ત્યારે ગુજરાત માં થી એમ્ફીપોડ ની ફક્ત એક જ પ્રજાતિ નોંધાઈ હતી અને 2025 માં તેમના સંશોધન ના અંતે કુલ 20 પ્રજાતિ ઓ ની ઓળખ કરી છે. ડૉ. ડિમ્પલે તેમના સંશોધન સમય દરમિયાન ગુજરાત તેમજ બંગાળ ની ખાડી ના દરિયાઈ વિસ્તારો માંથી એમ્ફીપોડ ની 14 નવી પ્રજાતિ અને 1 નવી જાતિ ચિલીકોરચેસ્ટિયા ની શોધ કરી છે.જેમાં ગુજરાત માંથી એમ્ફીપોડ ની 10 નવી પ્રજાતિ શિવરાજપુર, ઓખા, વેરાવળ, ગોપનાથ તેમજ દાંડી ના દરિયા કિનારે થી મળી આવી હતી. આ પ્રજાતિ ના નામકરણ ગુજરાતના નામે આંતરરાષ્ટ્રીય ઓળખ આપવા કરવામાં આવીછે. નવી પ્રજાતિની શોધને વતનની ઓળખ સાથે જોડી :નવી પ્રજાતિઓના નામ ગુજરાતના જે વિસ્તારો માંથી મળ્યા તે વિસ્તારના નામ પરથી નામ રાખ્યા, જેેમાં ; { બિબ્લીસ કચ્છેન્સિસ (કચ્છના નામ પરથી) { ટેલોરચેસ્ટિયા દાંડી (ઐતિહાસિક દાંડીના નામ પરથી) { ક્વાડ્રીમેરા ઓખા (ઓખાના નામ પરથી) { મેરા ગુજરાતેન્સિસ (ગુજરાતની અસ્મિતા પરથી) કચ્છના નાના ગામડામાંથી વિશ્વ કક્ષાની વૈજ્ઞાનિક બનીકચ્છના મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતી ડૉ. ડિમ્પલ રામજીભાઈ ઠક્કર જેની ઉંમર 27 વર્ષ છે. જે એકતાનગર, પાનધ્રો, કચ્છમાં જન્મી હતી. સુવિધા વગરના નાનકડા ગામમાં અભ્યાસ બાદ સંશોધન ક્ષેત્રે આ સફર સરળ નહોતી. ભરતી-ઓટ વચ્ચે કાદવ અને પથ્થરો ખૂંદીને નમૂના એકઠા કરવા માટે ભારે જહેમત ઉઠાવવી પડતી હતી. 5 વર્ષના સંઘર્ષ બાદ થયેલા આ સંશોધનને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સ્વીકૃતિ મળી છે.પ્રસિધ્ધ વિદેશી જર્નલમાં પ્રકાશિત થયું છે.ડૉ. ડિમ્પલની આ સફળતા આજે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી હજારો યુવતીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની છે કે જો ઈચ્છાશક્તિ મજબૂત હોય, તો કચ્છના નાના ગામડામાંથી પણ વિશ્વ કક્ષાના વૈજ્ઞાનિક બની શકાય છે. કચ્છનું ગૌરવ

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 5:57 am

ઉત્સવની તૈયારી:માંડવી બીચ ફેસ્ટીવલમાં લેઝર લાઈટ શો, લાઈવ મ્યુઝીક, દરિયાઇ રમતો સહિતના રહેશે મુખ્ય આકર્ષણ

કચ્છમાં માંડવીના રમણીય દરિયાકિનારે 11 દિવસીય બીચ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 21 ડિસેમ્બર રવિવારથી થર્ટી ફર્સ્ટ સુધી આયોજિત ફેસ્ટિવલમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.રવિવારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને પ્રવાસન મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે આ બીચ ફેસ્ટીવલ ખુલ્લો મુકવામાં આવશે. માંડવી બીચ પર સુંદર સમુદ્ર તટ, શાંત તરંગો પર્યટકોને અનોખો અનુભવ આપે છે. વિજય વિલાસ મહેલ અને પરંપરાગત જહાજ નિર્માણ કલા અહીંના વૈભવનો ભાગ છે. બીચ પર સૂર્યાસ્તના નજારા અને સ્થાનિક સંસ્કૃતિ સાથેનો સંગમ આ સ્થાનને કચ્છના સર્વોચ્ચ આકર્ષણોમાં સ્થાન અપાવે છે. બીચ ફેસ્ટિવલ દરમ્યાન પ્રવાસીઓના આકર્ષણ માટે વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરાયું છે. જેમાં દરરોજ કલ્ચરલ પ્રોગ્રામ યોજાશે. સાંસ્કૃતિક મ્યુઝિકલ નાઈટમાં પ્રખ્યાત સાંસ્કૃતિક કલાકારો અને રાઈઝિંગ સ્ટાર્સ બેન્ડને આમંત્રિત કરાયેલા છે. આ ઉપરાંત બીચ પર રોપ ક્લાઇમ્બિંગ, ટાયર ક્લાઈમ્બિંગ, ઝોર્બિંગ, ટગ ઓફ વોર, કમાન્ડો નેટ, બર્મા બ્રિજ, કેમલ રાઈડિંગ જેવી વિવિધ સાહસિક પ્રવૃત્તિઓ યોજાશે. સાથે જ વોલીબોલ, સોકર અને ક્રિકેટ જેવી બીચ સ્પોર્ટ્સ, સેન્ડ આર્ટ, બોન ફાયર, લાઈવ મ્યુઝિક, સ્ટાર ગેઝિંગ અને લેઝર લાઈટ શો પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે. પ્રવાસીઓ માટે ક્રાફ્ટના 10 સ્ટોલ અને ફૂડના 10 સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત મેડિકલ સુવિધા, પીવાના પાણીની વ્યવસ્થા, સિક્યોરિટી સર્વિસ અને ટોઇલેટ બ્લોક સહિતની તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.રવિવારે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી બીચ ફેસ્ટીવલ ખુલ્લો મુકવા આવશે તેમ સત્તાવાર વર્તુળોએ જણાવ્યું છે આ સાથે રાજ્યકક્ષાના પ્રવાસન મંત્રી, સાંસદ, ધારાસભ્યો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. બીચ ફેસ્ટિવલ દ્વારા કચ્છના પ્રવાસન ક્ષેત્રને નવી દિશા મળશે તેમજ સ્થાનિક સંસ્કૃતિ, કલા અને અર્થતંત્રને પણ વેગ મળશે. ફાઇલ તસવીર મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી બીચ ફેસ્ટીવલ ખુલ્લો મુકવા આવશે તેમ સત્તાવાર વર્તુળોએ જણાવ્યું છે આ સાથે રાજ્યકક્ષાના પ્રવાસન મંત્રી, સાંસદ, ધારાસભ્યો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. બીચ ફેસ્ટિવલ દ્વારા કચ્છના પ્રવાસન ક્ષેત્રને નવી દિશા મળશે તેમજ સ્થાનિક સંસ્કૃતિ, કલા અને અર્થતંત્રને પણ વેગ મળશે. { રોપ ક્લાઇમ્બિંગ, ઝોર્બીંગ, ટગ ઓફ વોર, બર્મા બ્રીજ વગેરે પ્રવૃત્તિ થશે

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 5:55 am

પાટીલ-બોઘરાના અજબ બોન્ડિંગની ગજબ વાત:દેવાયત ખવડ કડીના મામલતદારને મળવા કેમ ગયા?, કોંગ્રેસના નેતાએ નારો લગાવ્યો, જવાબમાં કાર્યકરોએ ભાંગરો વાટ્યો

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 5:55 am

સિટી એન્કર:ભુજમાં અંદાજે 5 હજારથી વધુ સ્થળાંતરિત પરિવારો વસે છે

દર વર્ષે 18 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સ્થળાંતરિત દિવસ ઉજવાય છે તે પૂર્વે ભુજની સંસ્થા દ્વારા કરાયેલી મોજણીમાં ભુજમાં અંદાજે 5 હજારથી વધુ સ્થળાંતરિત પરિવારો વસે છે તેવું તારણ બહાર આવ્યું છે. ભુજની સ્થાનિક સંસ્થા અર્બન સેતુ દ્વારા થયેલા સરવે મુજબ આ પરિવારો બાંધકામ, હોટલ-રેસ્ટોરેન્ટ, સફાઈ, ટ્રાન્સપોર્ટ, નાના ઉદ્યોગો અને અસંગઠિત ક્ષેત્રમાં દિવસ-રાત મહેનત કરે છે. શહેરની વિકાસયાત્રામાં તેમનું યોગદાન નોંધપાત્ર છે, પરંતુ પાણી, સ્વચ્છતા, આરોગ્ય, શિક્ષણ અને રહેઠાણ જેવી મૂળભૂત સુવિધાઓ મેળવવા માટે તેઓ સતત સંઘર્ષ કરી રહ્યા છે. ઘણા સ્થળાંતરિત પરિવારો અસ્થાયી વસાહતોમાં રહે છે, જ્યાં શુદ્ધ પાણી અને શૌચાલયની પૂરતી સુવિધા નથી. બાળકોના શિક્ષણમાં સતત સ્થળાંતર અને દસ્તાવેજોની અછત મોટી અડચણ બની રહે છે. શ્રમિકો માટે શૌચાલયની જરૂરિયાતનું મહત્વ સમજીને તેમજ મહિલાઓ-બાળકો અને ભુજના પર્યાવરણની ચિંતા સેવતા એક સમાજ સેવીકાએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી દાખલ કરી હતી ! આ જાહેર હિતની અરજી સંદર્ભે ગત ડીસેમ્બર 2023નાં રોજ ગુજરાત હાઈકોર્ટે ઇન્ટરીમ ઓર્ડરમાં જણાવ્યું હતું કે; “દરેક નગરપાલિકાએ તેમના શહેરોમાં શૌચાલયની સુવિધા પૂરી પાડવી ફરજીયાત છે આ જન આરોગ્ય સાથે સંકળાયેલી બાબત હોવાથી આ સંદર્ભે ભંડોળ ના હોવાનું બહાનું આપી શકાય નહિ.” આ સ્થિતિમાં અર્બન સેતુ જેવી સંસ્થાઓ સ્થળાંતરિત પરિવારોને દસ્તાવેજીકરણ, સરકારી યોજનાઓ સાથે જોડાણ, આરોગ્ય અને શિક્ષણ અંગે માર્ગદર્શન આપીને તેમની જીવનશૈલી મજબૂત બનાવવા પ્રયત્નશીલ છે. સ્થાનિક સ્તરે આવી સંસ્થાઓ સ્થળાંતરિત સમુદાય અને શહેરી શાસન વચ્ચેનો પુલ બની રહી છે. શૌચાલયની અરજી કરી પણ બન્યા નહીંભુજ શ્રમિક સંગઠનના સભ્ય વિષ્ણુબાઈએ ગત જૂન-2023માં પીએમોના ઓનલાઈન પોર્ટલ પર સામુદાયિક શૌચાલય માટે સરકાર સમક્ષ અરજી કરી હતી પરંતુ આજ સુધી શૌચાલયની પ્રતિક્ષા કરી રહેલા શ્રમજીવીઓ વતી વિષ્ણુબાઈ કહે છે કે તાજેતરમાં અખબારોમાં સમાચાર છપાયા છે કે સરકાર ભુજમાં 175 લાખનો માતબર ખર્ચ કરીને સેન્સરવાળાં શૌચાલય બનાવશે. જો આટલા બધા રૂપિયા જુના શૌચાલયની મરામત માટે સરકાર પાસે છે તો પછી છેલા 2 વર્ષથી અમારા વંચિત વિસ્તારો માટે આવું ઓરમાયું વર્તન શા માટે?

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 5:51 am

આરટીઓ સર્કલના રિનોવેશનમાં ગોકળગાયની ગતિ:ત્રણ મહિને પણ હજુ આકાર નથી લીધું

ભુજમાં આર.ટી.ઓ. સર્કલનું પુન:નિર્માણ સપ્ટેમ્બર મહિના શરૂ થયું છે. પરંતુ, ગોકળગાયની ગતિએ ચણતર થઈ રહ્યું છે, જેથી 6 મહિનામાં પૂરું કરવાનું કામ હજુ ત્રણ મહિને પણ નિશ્ચિત આકાર લઈ નથી શક્યું. આર.ટી.ઓ. પાસે ચાર રસ્તા એકઠા થાય છે, જેમાં બે માર્ગ તો સીધા હાઈ-વેમાંથી આવતા ભારે વાહનોની અવરજવરવાળા છે, બાકીના બે માર્ગ રહેણાક વિસ્તારમાંથી આવતા ટુ-વ્હિકલ અને નાના ફોર-વ્હિકલની અવરજવરવાળા છે. પરંતુ, સર્કલની ઊંચાઈને કારણે વાહન ચાલકો અન્ય વાહનની સ્થિતિ જાણ શકતા ન હતા, જેથી અવારનવાર અકસ્માત થતા રહેતા હતા. જેના કારણે સર્કલ નાનું કરવા સહિતની રજુઆતો થઈ હતી. જેના પગલે ભુજ નગરપાલિકાએ સર્કલ તોડીને ત્યાં કમળનું ફૂલ અને ભુજ શહેરની સ્થાપના કરનારા રાજા ખેંગારજી પહેલાની મૂર્તિ મૂકવાનું ઠરાવ્યું અને ચણતર પણ શરૂ કરી દીધું. જોકે, ત્રણ મહિને હજુ આકાર લઈ નથી શક્યું અને બાકીના 3 મહિનામાં કેટલે પહોંચશે એ નક્કી નથી! કમળ ત્યાં જ બનશે અને મૂર્તિ તૈયાર થઈ આવશે : ચેરમેબાંધકામ સમિતિના ચેરમેન દિવ્યરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 6 મહિનાની મુદ્દત છે. હજુ તો ત્રણ મહિના જ થયા છે. વળી કમળનું ફૂલ તૈયાર થઈને નથી આવવાનું, ત્યાંજ બને છે. માત્ર પ્રતિમા તૈયાર થઈને આવશે એટલે સમય લાગે છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 5:49 am

સિટી પોલીસે 5.16 લાખના દાગીના રિકવર કર્યા:ભંગારની લારીની ફેરી કરી બંધ મકાનમાં ચોરી કરતાં શખ્સો પકડાયા

શહેર એ ડિવિઝન પોલીસમાં જૂન અને ઓક્ટોબર મહિનામાં નોંધાયેલા ઘરફોડ ચોરીના બનાવમાં બે શખ્સને ઝડપી લેવાયા હતા. ચોરી કરનાર અંજારના ભગતસિંહનગરના હીરા રમેશ વડેચા અને મુદ્દામાલ વેંચનાર ભુજની રામનગરીના ભરત કમલેશ દેવીપૂજકને પકડી સોનાનું મંગળસૂત્ર, હાર, બૂટી અને વીંટી મળી 5.16 લાખનો મુદ્દામાલ રિકવર કરાયો હતો. ચોરી કરનાર સહ આરોપી બાબુ ઉર્ફે બબુ કેશાભાઇ કુંવરિયા હાજર મળી આવ્યો નથી. હીરા સામે ભુજ, વીંછિયા અને ધોરાજી પોલીસમાં પાંચ ગુના નોંધાયેલા છે. શહેરી વિસ્તારમાં ભંગારની લારીની ફેરી કરી બંધ મકાનમાં તક જોઇ આરોપીઓ ચોરી કરતાં હતા. એ ડિવિઝન પીઆઇ એ. એમ. પટેલના માર્ગદર્શનમાં આ કામગીરીમાં પીએસઆઇ આર. જે. ગોહિલ તથા સ્ટાફના ભરતજી ઠાકોર, રાજુભા જાડેજા, યુવરાજસિંહ જાડેજા, લાખાભાઇ બાંભવા, કૈલાશભાઇ ચૌધરી, દશરથભાઇ ચૌધરી, મુકેશભાઇ તરાલ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 5:48 am

રતનાલ પાસે જર્જરિત લાઈન બદલવામાં જળનો જથ્થો મળતો નથી:આજે ત્રીજે દિવસે પાણી મળશે તો મળશે

ભુજ શહેરને નર્મદાના પાણી આપતી જી.ડબ્લ્યુ.આઈ.એલ.ની પાઈપ લાઈન રતનાલ પાસે જર્જરિત થઈ ગઈ હતી. જેને બદલવાનું કામ મંગળવારથી ચાલે છે અને આજે ગુરુવારે પૂરું થાય એવી શક્યતા છે. અંજારથી કુકમા વાયા રતનાલ થઈને નર્મદાની મુખ્ય લાઈન પસાર થાય છે, જેમાંથી ભુજ શહેર અને ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને પેયજળ પૂરું પાડવામાં આવે છે. કુકમા સમ્પે પાણી આવે પછી ત્યાંથી ભુજીયા સમ્પે અને ત્યાંથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઓવરહેડ અને અન્ડર ગ્રાઉન્ડ ટાંકા મારફતે પાણી પહોંચાડવામાં આવે છે. ત્યારબાદ લોકોના ઘરે નળ વાટે પાણી આવે છે. જી.ડબ્લ્યુ.આઈ.એલ.ની રતનાલ પાસે નર્મદાની મુખ્ય લાઈન અવારનવાર તૂટી જતી હતી, જેથી આખી લાઈન બદલવામાં આવી રહી છે. જેના પગલે મંગળવારથી નર્મદાના પાણી નગરપાલિકાના ટાંકામાં પહોંચ્યું નથી. ઉપપ્રમુખ ઘનશ્યામ સી. ઠક્કર અને વોટર સપ્લાય ચેરમેન સંજય ઠક્કરે જણાવ્યું હતું કે, ગુરુવારે સાંજે પાણી મળી ગયા બાદ વિતરણ શરૂ થશે એટલે તમામ સપ્લાય ઠેલાઈ ગઈ છે. જોકે, શિયાળાના કારણે હજુ સુધી ફરિયાદ આવી નથી. પરંતુ, લોકોએ કરકસરથી પાણીનો ઉપયોગ કરવા અનુરોધ છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 5:46 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ખાવડા-હાજીપીર 128 કિમીનો રસ્તો 300 કિમી જેવો આકરો

કચ્છ જિલ્લો છેલ્લા એક દાયકામાં પ્રવાસન ઉદ્યોગના ક્ષેત્રે નોંધનીય પ્રગતિ કરી રહ્યો છે. રણોત્સવ, માતાનામઢ, કોટેશ્વર, નારાયણ સરોવર, ધોળાવીરા, માંડવી બીચ, સફેદ રણ સહિતના સ્થળોએ દેશભરના પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. પરંતુ આ પ્રવાસન વિકાસને આધાર આપતા રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સ્થિતિ ખાસ કરીને સરહદી વિસ્તારોમાં અત્યંત દયનીય બની ગઈ છે. જીપીએસ આધારિત મુસાફરી કરતા પ્રવાસીઓ માટે ખાવડા–હાજીપીર–ઘડુલી માર્ગ એક મોટી યાતના સાબિત થઈ રહ્યો છે. પ્રવાસીઓ જ્યારે માતાનામઢ અથવા કોટેશ્વર જવા માટે જીપીએસ પર આધાર રાખે છે ત્યારે તેઓ ખાવડા રોડના ભારે ટ્રાફિકથી બચવા ધોરડો ચોકડીથી ઉધમા ચેક પોસ્ટ થઈને હાજીપીર તરફ વળે છે. પરંતુ અહીંથી તેમની મુશ્કેલી શરૂ થાય છે. ખાવડા–હાજીપીર–ઘડુલી રસ્તો હાલમાં કચ્છનો સૌથી વધુ જર્જરિત માર્ગ થઈ ગયો છે. એક- એક ફૂટના ખાડાઓ, ઉડતી ધૂળ અને મીઠાનું વહન કરતા ભારે વાહનોને કારણે આ માર્ગ પર વાહન ચલાવવું મુશ્કેલ બની જાય છે. પાટણથી આવેલા અમૃતભાઈએ પોતાની વેદના વ્યક્ત કરતાં જણાવ્યું કે તેઓ જીપીએસ બતાવેલા માર્ગ પરથી ભુજથી ધોરડો સુધી સરળતાથી પહોંચી ગયા, પરંતુ ખાવડા રોડનો ટ્રાફિક ટાળવા ધોરડોથી કોટેશ્વર તરફ વળ્યા ત્યારથી હાલત કફોડી બની ગઈ. ધોરડો ચોકડીથી હાજીપીર સુધીના માત્ર 36 કિલોમીટરનો રસ્તો પાર કરવા બે કલાક જેટલો સમય લાગી ગયો. ત્યારબાદ ઝારા વ્યુ પોઇન્ટ, ધારેશી, ફૂલરા અને પાનધ્રો થઈને કોટેશ્વર પહોંચતા સુધી આખો પરિવાર સંપૂર્ણ રીતે થાકી ગયો હતો. કુલ 128 કિલોમીટરની મુસાફરી જાણે 300 કિલોમીટર જેટલી લાંબી અને થાકાવનારી લાગી હતી. આવા જ હાલ થયા હતા હળવદથી આવેલા ગોહિલ પરિવારના. તેમણે જણાવ્યું કે કોટેશ્વરથી માતાનામઢ થઈ ધોરડો પહોંચવા માટે બે વિકલ્પ હતા – એક 211 કિલોમીટરનો અને બીજો 128 કિલોમીટરનો. ઓછા અંતરના માર્ગને પસંદ કર્યો, પરંતુ રસ્તાની દયનીય હાલતને કારણે મુસાફરી અત્યંત કષ્ટદાયક બની ગઈ. પ્રવાસન ઉદ્યોગને વેગ આપવો હોય તો માત્ર પ્રચાર પૂરતો નથી, પરંતુ માર્ગ વ્યવસ્થા સુધારવી અનિવાર્ય છે. જો સમયસર ખાવડા–હાજીપીર જેવા સરહદી માર્ગોનું પુનર્નિર્માણ નહીં થાય, તો કચ્છનું પ્રવાસન વિકાસ પાથરતું સ્વપ્ન પ્રવાસીઓ માટે યાતનામાં પરિવર્તિત થઈ જશે. ખાવડાથી કાઢવાંઢ 21 કિમી માર્ગ સિંગલ લેનખાવડા ચોકડી થી હાજીપીર માર્ગો જર્જરીત છે તો ખાવડા થી કાઢવાંઢ રોડ ટુ હેવન તરફ જતો માર્ગ 21 કિમીનો માર્ગ સિંગલ લેન હોવાથી પ્રવાસીઓ માટે મુશ્કેલી સર્જે છે. ભારે વાહનો તેમજ રોજિંદા ચાલતા સ્થાનિક વાહનો આવે ત્યારે રોડ સાઈડ ઉતારવાને બદલે સામે ઉપર આવી જતા પ્રવાસી ફરજિયાત ધૂળમાં ગાડી ઉતારવી પડે. રસ્તાની લેવલ ઊંચી હોવાથી જોખમી બની જાય. અમુક ગામોએ માર્ગ પરના બમ્પની બાજુમાં પથ્થરો ગોઠવી દીધા હોવાથી રાત્રે વધુ મુશ્કેલી પડે છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 5:45 am

ઓપરેશન મ્યુલ હંટ:નિઝામપુરાના યુવકે અનધિકૃત વ્યવહારો માટે 3 બેંકમાં ખાતા ખોલ્યા

સીઆઈડી અને આઈ4સી દ્વારા ઓપરેશન મ્યુલ હંટ શરૂ કરવામાં આવ્યો છે. વડોદરા પોલીસને 250થી વધુ શંકાસ્પદ બેંક ખાતાની માહિતી આપવામાં આવી છે. જેમાં એકાઉન્ટ ધારકને કમિશન આપી ઓનલાઇન છેતરપિંડીથી મેળવેલા રૂપિયા મ્યુલ એકાઉન્ટમાં જમા કરાવી વ્યવહાર કરે છે. ત્યારે શહેરમાં વધુ 7 ગુના નોંધીને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ પાસે 250થી વધુ શંકાસ્પદ ખાતાની માહિતી, તપાસ શરૂ

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 5:43 am

રહસ્ય:સમા તળાવ પાસે સગીર બાઈક ચાલકનું બાઈક સ્લીપ થતાં મોત, માથે એલ આકાર ઈજાનું નિશાન તપાસનો વિષય

તુલસીવાડીમાં રહેતો 15 વર્ષીય સગીર ઘરમાં કોઈને કહ્યા વગર મિત્ર સાથે પિતાનું બાઈક લઈને જતો રહ્યો હતો. સમા તળાવ પાસે બાઈક સ્લીપ થતાં તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને ઘટના સ્થળ પર જ મોત થયું હતું. મંગળવારે રાત્રે વધુ એક અકસ્માત થયો હતો, તુલસીવાડીમાં રહેતો 15 વર્ષીય હિતેન્દ્ર પરમાર મંગળવારે રાત્રે ઘરે પરિવાર સાથે ભોજન લીધા બાદ ઘરમાં કોઈને કહ્યા વગર બહાર જતો રહ્યો હતો. રાત્રે ઘરે ન આવતા તેનો ભાઈ રાહુલ ઘરની બહાર તપાસ કરવા આવ્યો હતો. રાત્રીના દોઢ વાગ્યા સુધી તે ઘરે ન આવતા રાહુલે ફરી ફોન કરતા કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન ઉપાડી જણાવ્યું હતું કે, આ મોબાઈલના માલિકનો સમા તળાવ પાસે અકસ્માત થયો છે અને તેનું મોત થયું છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, સગીરનું બાઈક સ્લીપ થઈ જતાં આ અકસ્માત થયો હતો.પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું હતું કે, હિતેન્દ્રના માથામાં એલ આકારનો ઊંડો ઘા છે. અકસ્માત થયો ત્યાં એવી કોઈ વસ્તુ નથી કે જેનાથી માથામાં કોઈ નિશાન પડી શકે. જેથી આ પોલીસ તપાસનો વિષય છે. પોલીસે આ તમામ પાસાઓ પર તપાસ કરી રહી છે. મિત્રે ના પાડી તેમ છતાં આગ્રહ કરીને બાઈક લઈને દુમાડ ચોકડી મૂકવા ગયો, સમા તળાવ પાસે અકસ્માતરાત્રીના 9 વાગ્યે હિતેન્દ્રનો એક મિત્ર તેને બોલાવવા આવ્યો હતો. જેથી તે ઘરમાં કોઈને કહ્યા વગર તેના પિતાનું બાઈક લઈને ઘરેથી જતા રહ્યા હતા. થોડો સમય તેઓ કિશનવાડી બેઠા હતા. મિત્ર દુમાડ ચોકડી રહેતો હોવાને કારણે મિત્રએ હિતેન્દ્રને કહ્યું હતું કે, તે રિક્ષામાં જતો રહેશે પણ હિતેન્દ્રએ આગ્રહ કર્યો હતો કે, હું તને બાઈક પર ઘરે મૂકી જઉ છું. જેથી તેઓ બાઈક લઈને દુમાડ ચોકડી ગયા હતા. હિતેન્દ્ર મિત્રને દુમાડ ચોકડી મૂકીને ઘર તરફ આવી રહ્યો હતો. ત્યારે સમા તળાવ પાસે અકસ્માત થયો હતો. જન્મદિવસના 17 દિવસના પહેલા જ મોત થઈ ગયુંહિતેન્દ્રનો જન્મદિવસ 3 જાન્યુઆરી હતો. આવનાર 3 તારીખે તે 16 વર્ષનો થવાનો હતો. જોકે તેના 16માં જન્મદિવસના 17 દિવસ પહેલા જ તેનું મૃત્યુ થઈ જતા પરિવારમાં શોકનો મહોલ છવાયો હતો.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 5:39 am

ઠગાઈના આરોપીઓ ઝડપાયા:સોનું-લોન અપાવવાના બહાને 4.95 કરોડની ઠગાઈ, વોન્ટેડ 2ની ધરપકડ

સસ્તામાં સોનું તેમજ લોન અપાવવાના બહાને રૂા.4.95 કરોડની ઠગાઈના ગુનામાં વોન્ટેડ બે આરોપીની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યાં છે. ઉલ્લેખનિય છે કે, સસ્તા સોનાની લાલચ આપી ઠગતી ટોળકીના ઈલ્યાસ અજમેરીને ક્રાઈમ બ્રાંચે વર્ષ 2022માં પકડી પાડ્યો હતો. જ્યારે ઈલ્યાસ જ રાજવીર પરીખનું નામ ધારણ કરીને લોકો સાથે ઠગાઈ કરતો હતો. ક્રાઈમ બ્રાંચે જણાવ્યું હતું કે, માર્ચ-2025 દરમિયાન કર્ણાટકમાં ઈ કોમર્સનો વિઝનેસ કરતા મંજૂ.આર.રવિ ઈ-બાઈકના શોરૂમના ઓપનિંગમાં બ્રોકર ચિંતનને મળ્યાં હતાં. ચિંતને વેપારીને જણાવ્યું હતું કે, વડોદરામાં ઓછા ભાવે સોનું તેમજ લોન અપાવે છે. વેપારી ચિંતન સાથે અક્ષરચોકની સિગ્નેટ હબમાં વિશાલ બારડની ઓફિસે ગયા હતાં. જ્યાં વિશાલે રૂા.10 લાખ લઈ 100 તોલાના સોનાના બિસ્કીટ આપ્યાં હતાં. ત્યારબાદ રૂા.10 કરોડની લોનની લાલચ આપીને રૂા.31 લાખ લઈ અલકાપુરી ખાતે આવેલી રાધે એન્ટરપ્રાઈઝ નામની રાજવીર ઉર્ફે ઈલ્યાસની ઓફિસે લઈ ગયા હતાં. જ્યાંથી વેપારી પાસેથી રૂા.4.80 કરોડ પડાવી લીધા હતાં. જેમાં નયના અને ભાવેશ પરમાર પણ આ છેતરપીંડીમાં સામેલ હતાં. જોકે આ સમગ્ર મામલે ઠગતી ટોળકીના ઈલ્યાસ અજમેરીને ક્રાઈમ બ્રાંચે વર્ષ 2022માં પકડી પાડ્યો હતો. જ્યારે ઈલ્યાસ જ રાજવીર પરીખનું નામ ધારણ કરીને લોકો સાથે ઠગાઈ કરતો હતો. ધરપકડ કરાયેલા આરોપીના નામ

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 5:37 am

SIR:26.89 લાખ મતદારોમાંથી 21.85 લાખ ફોર્મ ડિજિટલાઈઝ થયા

એસઆઈઆરની કામગીરીમાં ફોર્મની વહેંચણી અને તેને ડિજીટલાઈઝ કરવાની કામગીરીનો તબક્કો પુરો થઈ ગયો છે. જેમાં 10 વિધાનસભામાં કુલ 26.89 લાખ મતદારો સામે 21.85 લાખ મતદારોના ફોર્મ ડિજીટલાઈઝ કરાયા હતાં. જેમાં સૌથી વધુ માંજલપુર વિધાનસભામાં 78 ટકા ફોર્મનું ડિજીટલાઈઝેશન પુરૂ થયું છે. બીજી તરફ 1.46 લાખ મતદારોનું મૃત્યું થઈ ગયું હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે 97,769 મતદારોનો કોઈ પત્તો લાગ્યો ન હતો. અને 2.25 લાખ મતદારો અન્ય સ્થળે શિફ્ટ થઈ ગયા હોવાનું પણ તંત્રના ધ્યાને આવ્યું હતું. કલેક્ટર ડો.અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લામા હાલ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશની કામગીરીનો પ્રથમ તબક્કો પુરો થયો છે, અને આગામી તબક્કામા મુસદ્દા મતદારયાદીની પ્રસિધ્ધિ,હક્ક દાવા અને વાંધા અરજીઓ રજુ કરવાનો સમયગાળો તેમજ નોટીસ આપવાનો તબક્કો, ગણતરી ફોર્મ પર નિર્ણય અને EROs દ્વારા સમકાલીન રીતે હક્ક દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરવાની કામગીરી શરૂ થશે. 10 વિધાનસભામાં કુલ 26.89 લાખ મતદારો સામે 21.85 લાખ મતદારોના ફોર્મ ડિજીટલાઈઝ કરાયા હતાં. 1.46 લાખ મતદારોનું મૃત્યું થઈ ગયું હોવાનું જાણવા મળ્યું હતું.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 5:36 am

બળજબરી:દીકરીએ પ્રેમલગ્ન કર્યાં, પિતાને ન ગમ્યું તો પિયરમાં બોલાવી વૃદ્ધ સાથે પરણાવી દીધી

બિહાર રહેતી 23 વર્ષીય યુવતીએ પરિવારની જાણ બહાર પ્રેમી સાથે લગ્ન કરી લીધા હતા. જોકે પિતાનો વિરોધ હોવાથી પિતાએ દીકરીને પિયરમાં બોલાવી વૃદ્ધ સાથે પરણાવી દીધી હતી. જોકે યુવતી પરત પોતાના પહેલા પતિ-પ્રેમીના ઘરે જતી રહી હતી. યુવતીના કાકાનું મૃત્યુ થતાં તે વડોદરા આવતાં તેને રોકી લેતાં યુવતીએ અભયમ બોલાવી હતી. અભયમે યુવતી અને પિતાનું કાઉન્સેલિંગ કરીને મામલો થાળે પાડ્યો હતો. યુવતી પ્રેમ લગ્ન કર્યા બાદ પતિ સાથે હૈદરાબાદ રહેતી હતી. લગ્નના થોડા સમય બાદ પિતાએ દીકરીને ઘરે બોલાવી તેની મરજી વિરુદ્ધ વૃદ્ધ સાથે પરણાવી હતી. જોકે યુવતી હૈદરાબાદ ભાગી ગઇ હતી. યુવતીના કાકા બિહારમાં મૃત્યુ પામતાં તે ત્યાં જવા વડોદરા સુદી આવી હતી અને માસીના ઘરે રોકાઈ હતી. બાદમાં તેના પિતાએ આવીને તેનો મોબાઈલ લઈ લીધો હતો અને રોકી લેતાં યુવતીએ અભયમને બોલાવી હતી. અભયમે બંને પક્ષને સમજાવીને આખો મામલો થાળે પાડ્યો હતો. પ્રિયાએ પિતાને આત્મહત્યા કરવાની ધમકી આપીપ્રિયાના પિતા તેને જબરજસ્તી તેના બીજા પતિના ઘરે મોકલવા માગતા હતા અને તેનીનો મોબાઈલ પણ લઈ લીધો હતો.જેથી પ્રિયા કોઈનો સંપર્ક ન કરી શકે. જેથી પ્રિયાએ તેના પિતાને ધમકી આપી હતી કે, તે ટ્રેનની નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લેશે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 5:32 am

સિટી એન્કર:બાસ્કેટબોલમાં વડોદરાની મજબૂત ટીમ સામે રમવાનું આવતાં આણંદની ટીમ આખી ટુર્નામેન્ટ છોડીને જતી રહેતાં હોબાળો

વડોદરાની નવરચના સ્કૂલ ખાતે બાસ્કેટબોલની ઝોનલ કક્ષાની સ્પર્ધાના રાઉન્ડ હતા. ત્યારે વડોદરા સિટીની મજબૂત ટીમ સામે રમવાનું આવતાં આણંદની ટીમ વિરોધ નોંધાવી ટુર્નામેન્ટ છોડીને જતી રહેતા હોબાળો સર્જાયો હતો. આ શરમજનક ઘટનાની વિગત એવી છે કે, સવારે ઝોનલ ટુ્ર્નામેન્ટના પ્રાથમિક રાઉન્ડ્સ હતા. સૌ ટીમોના મેનેજરોની હાજરીમાં ડ્રો થયા હતા. ત્યારે માત્ર 4 ટીમો જ હતી. ડ્રો થયાના 5 મિનિટમાં જ મોડી પડેલી ખેડાની ટીમ આવી હતી. નિયમ મુજબ ડ્રો ફરી કરવા પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી. તેથી ફરી બધી જ ટીમોના મેનેજર્સને બોલાવીને સૌની હાજરીમાં ડ્રો થયા અને ચિત્ર પલટાઇ ગયું હતું. કારણ કે દરેક ટીમોની વિરોધી ટીમો બદલાઇ ગઇ હતી. આણંદ સામે વડોદરા સિટીની ટીમને મેચ રમવાની હતી. આ માટે આણંદની ટીમના મેનેજરે સહી કરી હતી. જોકે વડોદરા સિટીની ટીમ સામે મેચ રમવાની આવવાની જાણ થતાં જ ટીમના એક જક્કી સભ્યએ વિરોધ નોંધાવ્યો હતો અને બીજીવાર ડ્રો માન્ય નથી એમ જણાવી વિરોધ કર્યો હતો. આ વિશે રમતગમત અધિકારી વિસ્મય વ્યાસે જણાવ્યું કે, ઘટનાની જાણ કરાઇ છે અને લેખિતમાં બાસ્કેટ બોલ એસોસિયેશનના પદાધિકારીઓએ આપ્યું છે કે, આણંદની ટીમનો વિરોધ વાજબી ન હતો. અમે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતને રિપોર્ટ કર્યો છે. બાસ્કેટ બોલ એસોસિયેશનના એક પદાધિકારીએ જણાવ્યું કે, આણંદની ટીમના એક જ સભ્યની આડોડાઇને લીધે ટીમને બીજીવાર નીચાજોણું થયું છે. 2 વર્ષ પહેલા આણંદની ટીમે પાટણમાં હાર બાદ મહેફિલ યોજીને માથાકૂટ કરી હતી2 વર્ષ પહેલા પાટણમાં સ્ટેટ ચેમ્પિયનશિપમાં આણંદની જ એક ટીમના પાટણકાંડની ચર્ચા વહી હતી. આણંદની ટીમ પાટણમાં હાર ખમી ન શકતાં જ્યાં રોકાઇ હતી ત્યાં મહેફિલ યોજી છાટકા થયા બાદ ટીમના કોઇએ ચોકીદારને એલફેલ બોલ્યાં હતા. એક ખેલાડીની આગેવાનીમાં જક્કી વલણ સભ્યોએ રાખતાં પોલીસને બોલાવવી પડી હતી. ટીમના કેટલાકે વૈભવી કારમાં ભાગવાની કોશિશ કરી હતી પણ ચોકીદારે ગેટ બંધ કરતાં ઝબ્બે થયા હતા. તેમાં સામેલ ખેલાડી વડોદરાના હોબાળામાં હતા.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 5:32 am

કાર્યવાહી:ગોરવા મધુનગરમાં પાલિકાના પ્લોટ ઉપર બાંધેલા મદ્રેસા-17 ઘરના દબાણ હટાવાયા

શહેરના ગોરવા મધુનગર ચાર રસ્તા નજીક 24 મીટરની રોડલાઇન ખુલ્લી કરવા પાલિકાએ દબાણ હટાવવાનું શરૂ કર્યું હતું. જેમાં પાલિકાના પ્લોટ પરથી 35થી 40 વર્ષ જૂના 17 મકાન અને મદ્રેસાનું દબાણ તોડી પડાયું હતું. 11મીએ થયેલા ડ્રોમાં મકાનોની ફાળવણી બાદ એલોટમેન્ટ લેટર કે ચાવી નહીં અપાઈ હોવાની ફરિયાદ સાથે કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો. ધારાસભ્ય કેયુર રોકડિયા, કાઉન્સિલરો સ્થળ પર પહોંચ્યા હતા. કોંગ્રેસ કાઉન્સિલર અમી રાવત, નરેન્દ્ર રાવતે કામનો વિરોધ કર્યો હતો. ગોરવા પીઆઈ કિરીટ લાઠીયા અને નરેન્દ્ર રાવત વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી. નરેન્દ્ર રાવતે આક્ષેપ કર્યા હતા કે દબાણ તોડ્યા પૂર્વે મકાનના એલોટમેન્ટ લેટર-ચાવી આપી નથી. ચાર દરવાજામાં પણ દબાણ હટાવાયા હતા. પ્લોટ નજીક ભાજપના નેતાની જમીન હોવાથી ધારાસભ્ય કામ કરાવી રહ્યા છેદબાણ હટાવાતાં નરેન્દ્ર રાવતે કહ્યું કે, પાલિકાના પ્લોટની નજીક ભાજપના નેતાઓની જમીન છે જે માટે ધારાસભ્ય દબાણો તોડવા ઉતાવળ કરે છે. વાણિજ્ય હેતુનો પ્લોટ મળતીયાઓને વેચવાની કવાયત છે. મ્યુનિ.કમિશનરની ના હોવા છતાં અધિકારી ધારાસભ્યના ઇશારે કામ કરે છે. એલોટમેન્ટ લેટર, ચાવી આપી મકાનો તોડ્યા હોત તો શું ફરક પડત. ગોરવા PI અને કોંગ્રેસી નેતા વચ્ચે બોલાચાલીકામ દરમિયાન નરેન્દ્ર રાવતે મકાન આપ્યા વિના તોડી ન શકાય તેવા આક્ષેપ કરતાં પીઆઇ લાઠીયાએ તમે વાતાવરણ ગરમ ન કરો, વિક્ષેપ ન કરો, વાહિયાત વાત કરી રાજનીતિ ન કરો કહી નારાજગી ઠાલવી હતી. દબાણકર્તાઓને સાચવનાર કોંગ્રેસ છેપાલિકાના પ્લોટ પર 30થી 35 વર્ષ પૂર્વે દબાણ થયા હતા. જેને હટાવી ફાયર બ્રિગેડ બનાવવાની તૈયારી છે. દબાણ કરાવનાર કોંગ્રેસ છે અને દબાણકર્તાને સાચવે છે. મકાન તૂટ્યા છે તેમને મકાનની ફાળવણી થઇ છે. > કેયુર રોકડિયા, ધારાસભ્ય, સયાજીગંજ

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 5:31 am

ભલે પધાર્યા:કમાટીબાગમાં સફેદ વાઘની જોડીનું આગમન, ક્વોરન્ટાઇન બાદ દર્શન

2024માં નાગપુરથી વાઘની જોડી વડોદરા કમાટીબાગના પ્રાણી સંગ્રહાલય ખાતે લવાયા બાદ 40 વર્ષ પછી પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘની એન્ટ્રી થઈ છે. રાજકોટ પ્રાણીસંગ્રહાલય ખાતે એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત સફેદ નર અને માદા વડોદરાને મળ્યા છે. સામે અલગ અલગ પક્ષીઓની 8 જોડી રાજકોટ પ્રાણીસંગ્રહાલયને આપવામાં આવી છે. રાજકોટના પ્રદ્યુમનપાર્ક પ્રાણી સંગ્રહાલયમાં જન્મેલા સફેદ નર અને માદા વાઘને 15થી 45 દિવસ માટે ક્વોરેન્ટાઇનમાં રખાયા બાદ સહેલાણીઓ જોઈ શકશે. 3 વર્ષની ઉંમરની સફેદ વાઘની જોડી વડોદરાના કમાટીબાગમાં આવતા સહેલાણીઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બનશે. ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકરે જણાવ્યું હતું કે, પ્રાણી સંગ્રહાલયમાં 3 જોડી થઈ છે. જેમાં અગાઉની વાઘની જોડી 18 વર્ષની થઈ છે. બીજી તરફ નાગપુરથી લવાયેલી નર અને માદાની જોડીને બ્રિડિંગ માટે જ રાખવામાં આવી છે. જેને સહેલાણીઓ માટે પ્રદર્શિત કરાઇ નથી.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 5:29 am

ભાસ્કર અગ્રેસર:પાલિકાના છબછબિયાંઃ સ્વિમિંગ પુલના વિદ્યાર્થી દીઠ ~10 લેશે, શીખવવાની જવાબદારી શાળાની

હરણી બોટકાંડ બાદ બદનામીથી બચવા પાલિકાની ચુંટાયેલી પાંખે શાળાના બાળકોને રૂ.10માં સ્વિમિંગ શીખવવા સૂચન કરી બજેટમાં જોગવાઈ કરી હતી. જોકે સૂચન બાદ 21 મહિને આખરે કામ સ્થાયીમાં મૂકાયું છે. પાલિકા ભલે રૂ. 10 લેશે પણ વિદ્યાર્થીઓની જવાબદારી શાળાની રહેશે તેવી શરત મુકાઇ છે. 2024માં હરણી લેક ઝોનમાં 12 બાળકો સહિત 14ના મોત થયાની ઘટના બાદ ભાજપ શાસિત પાલિકા તંત્રની ભારે બદનામી થઈ હતી. બદનામીમાંથી ઊગરવા બજેટની ચર્ચામાં શહેરની તમામ શાળાઓના વિદ્યાર્થીઓને રૂ. 10માં સ્વિમિંગ શીખવવા સૂચન મુકાયું હતું. જેમાં તંત્રની પ્રસંશા થઈ હતી. જોકે આ સૂચન માત્ર કાગળ પર જ રહી હતી. 21 મહિના બાદ હવે બાળકોને રૂ. 10માં સ્વિમિંગ શીખવાડવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં મંજૂરી માટે મુકાઇ છે. જેમાં શાળાના બાળકોને સ્વિમિંગ શીખવા માટે અને શાળા માટે 19 શરત અને નિયમ બનાવવામાં આવ્યા છે. આ નિયમમાં વિદ્યાર્થીઓની સંપૂર્ણ જવાબદારી શાળાની રહેશે તેવો ઉલ્લેખ કરાયો છે. મહત્વનું છે કે આ પોલિસી બનાવતા તંત્રને 6 મહિનાઓ સમય લાગ્યો છે. વાલીના એકરારનામા સાથે ફોર્મ ફી, પ્રવેશ-તાલીમ ફી આપવી પડશેપાલિકા મુજબ વિદ્યાર્થીઓની યાદી, બાળકો-વાલીના નામ-સરનામા, મેડિકલ સર્ટિ., અને એકરારનામું આપવાનું રહેશે. રૂ.50 ફોર્મના, ~25 પ્રવેશના, રૂ.10 શિખવાના આપવા પડશે. સ્કૂલો સુરક્ષા રાખે જ છે, સ્વિમિંગમાં બાળકોની જવાબદારી શાળાઓ લે તેવું કોઇ સ્વીકારે નહીં શાળાઓ વિદ્યાર્થીઓની તમામ ઇત્તર પ્રવૃત્તિ સુરક્ષા સાથે કરે છે. સ્વિમિંગમાં બાળકોની જવાબદારી શાળાઓ લે તેવું કોઇ સ્વીકારે નહિ. > કિરણ પટેલ, આચાર્ય સંઘ કોચનો પગાર શાળાએ ચૂકવવો પડે, શિક્ષક મોકલવા પડે, બાળકની જવાબદારી કોની? કોઇ સ્વીકાર કરશે નહિ. કોચનો પગાર શાળાએ ચૂકવો પડે. શિક્ષક મોકલવા પડે. બાળકને કંઇ થાય તો જવાબદારી કોની? > આર.સી.પટેલ, પ્રમુખ, શહેર શાળા સંચાલક મંડળ શાળાએ વિદ્યાર્થીઓને સ્વિમિંગ શીખવવા માટે સ્પોર્ટ્સ ઓફિસર-કોચ રાખવો પડશે કહી પાલિકાએ હાથ ખંખેર્યાહરણી બોટકાંડમાં બાદ ઉતાવળે કરાયેલા સૂચન બાદ હવે સ્વિમિંગ શીખવવા પાલિકા માત્ર ઇન્ફ્રાસ્ટ્રકચર પૂરું પાડશે. શાળાએ સ્પોર્ટ્સ ઓફિસર કે કોચ રાખવા પડશે. કારણ કે પાલિકા પાસે પહેલેથી સ્ટાફની ઘટ છે અને નવું મહેકમ ઊભું કરવાનું કોઈ આયોજન નથી. પાલિકાએ એક રીતે જવાબદારીમાંથી હાથ ખંખેર્યા છે. જોકે તંત્ર કહે છે કે સહકાર આપીશું. પાલિકા પાસે 2 બેબી પુલ મળી 6 સ્વિમિંગ પુલ છે જેમાં તમામ શાળાના બાળકોને સ્વિમિંગ શીખવવું શક્ય નથી.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 5:28 am

ભાસ્કર એક્સક્લુસિવ:સરકારી શાળાનું ખાનગી જેવું મોડલ: પહેલીવાર ડિસેમ્બરમાં જ પ્રવેશ પ્રક્રિયા શરૂ, 3 દિવસમાં 104 વિદ્યાર્થીઓની નોંધણી

ખાનગી શાળાની જેમ સરકારી શાળામાં પ્રથમવાર ડિસેમ્બરમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સરકારી પ્રાથમિક શાળા કવિ દુલાકાગમાં પ્રવેશ માટે નોંધણી શરૂ કરાઇ છે. 3 દિવસમાં જ ગુજરાતી-અંગ્રેજી માધ્યમ માટે 104 વિદ્યાર્થીએ નોંધણી કરાવી છે. ધસારાના પગલે અંગ્રેજી માધ્યમમાં વર્ગો વધારવામાં આવ્યા છે. સરકારી શાળામાં પ્રવેશ પ્રક્રિયા જૂન મહિનામાં થાય છે. શિક્ષણ સમિતિ સંચાલિત હરણી વારસીયા રીંગ રોડ પરની કવિ દુલાકાગ પ્રાથમિક શાળામાં દર વર્ષે પ્રવેશના ધસારાને જોતા ડિસેમ્બરમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવાઇ છે. 15થી 31 ડિસેમ્બર સુધી જે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ લેવો છે તેવા વિદ્યાર્થીઓના નામની નોંધણી શરૂ કરવામાં આવી છે. જેમ ખાનગી શાળામાં નવા સત્રમાં નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં પ્રવેશની કાર્યવાહી શરૂ કરાઇ છે તે પ્રકારે જ કવિ દુલાકાગમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઇ છે. પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા માટે સોશિયલ મીડિયામાં પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. જેના આધારે જે વિદ્યાર્થીઓને પ્રવેશ લેવો છે તેના નામની નોંધણી કરવામાં આવી રહી છે. જેમાં અંગ્રેજી માધ્યમ માટે જુનીયર કેજીથી ધો.8 સુધીમાં પ્રવેશ માટે માત્ર 3 દિવસમાં જ 68 જેટલા વિદ્યાર્થીઓના નામ નોંધવામાં આવ્યા છે. જયારે ગુજરાતી માધ્યમ માટે 36 વિદ્યાર્થીના નામ નોંધાયા છે. અંગ્રેજી માધ્યમમાં ધસારો જોતા જુનીયર કેજીથી ધો.8 સુધી માટે એક-એક વર્ગ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષે 350 વિદ્યાર્થી પ્રવેશ વિના પાછા ફરે છેકવિ દુલાકાગ પ્રાથમિક શાળામાં પ્રવેશ માટે ધસારો રહે છે. પ્રવેશ ફૂલ થઇ જાય ત્યારે જે વિદ્યાર્થીને પ્રવેશ ન મળ્યા હોય તેના વાલીઓ મેયર, કોર્પોરેટર, ધારાસભ્યના ભલામણ પત્રો લખાવી લાવે છે. અંગ્રેજી-ગુજરાતી માધ્યમમાં દર વર્ષે 300થી 350 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જાય છે. ખાનગી સ્કૂલમાંથી પણ વાલીઓ સરકારી સ્કૂલમાં અધવચ્ચેથી પ્રવેશ લેવા આવે છે. ધો.1 જ નહિ પરંતુ ધો.8 સુધી પ્રવેશ માટે ભલામણો આવતી હોય છે. લેબ-લાઇબ્રેરી એસી, સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓ અવ્વલશાળામાં એસી લેબોરેટરી, એસી લાઇબ્રેરી, અદ્યતન વર્ગો છે. વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભ, કલા મહાકુંભમાં વિજેતા થાય છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ અવ્વલ હોવાથી પ્રવેશ માટે ધસારો રહે છે. > જીગર ઠક્કર, આચાર્ય, કવિ દુલાકાગ પ્રાથમિક શાળા 31 જાન્યુઆરી પહેલાં પ્રવેશ નિશ્ચિત કરી વાલી સાથે બેઠક કરાશે15 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી પ્રવેશ માટે વિદ્યાર્થીઓના નામની નોંધણી કરાશે16 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી જે વિદ્યાર્થીઓના પ્રવેશ કન્ફર્મ હશે તેના ફોર્મ ભરવાની પ્રક્રિયા કરાશે28 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી પ્રવેશ કન્ફર્મ કર્યા હશે તેવા વિદ્યાર્થીઓના વાલી સાથે મિટીંગ કરાશે1 એપ્રિલના રોજ નવા સત્ર માટે વાલી અને બાળકો સાથે બેઠક કરીને જૂનમાં નવું સત્ર જ શરૂ કરી દેવાશે

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 5:24 am

મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત:વડવાઓ પ્રાકૃતિક ખેતી કરી જીવન ગાળતા હતા, આજે અમે એ જ પરંપરા અપનાવી રહ્યા છીએ : મહિલા ખેડૂત

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાનકડા ગામ પરપોટીયાના રેવાબેન કોટવાલ પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રે કાઠું કાઢ્યું છે. તેમણે વર્ષ 2019 થી પ્રાકૃતિક ખેતી અપનાવી છે. અને તેનાથી મળતી સફળતાએ તેમને આર્થિક રીતે મજબૂત કર્યા છે. આ વિસ્તારની મહિલાઓ માટે આ મહિલા પ્રેરણારૂપ પણ બની રહી છે. માલપુર તાલુકાના પરપોટીયાના રેવાબેન પોતાના ઘરે બાંધેલી દેશી ગાયના છાણમાંથી પ્રાકૃતિક ખાતર તૈયાર કરે છે. આ ખાતરનો ઉપયોગ તેમના ખેતરમાં ઘઉં જેવા પાકોમાં કરવામાં આવે છે. પરિણામે તેમના ઘઉંની ગુણવત્તા એટલી ઉત્તમ છે કે તે ઘઉં રૂપિયા1000 પ્રતિ મણના ભાવે પોતાના ઘરેથી જ વેચાઈ જાય છે. રેવાબેન કહે છે, કે વડવાઓ પ્રાકૃતિક ખેતી કરીને જ જીવન ગાળતા હતા. આજે અમે તે જ પરંપરાને અપનાવીને સફળતા મેળવી રહ્યા છીએ. આ સફળતા પાછળ રાજ્ય પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અરવલ્લીનો મહત્વનો સહયોગ છે. બોર્ડ દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તાલીમ, માર્ગદર્શન અને સહકાર આપવામાં આવે છે. આનાથી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર વધી રહ્યો છે અને ખાસ કરીને મહિલાઓ આ ક્ષેત્રે આગળ વધી રહી છે. રેવાબેન કોટવાલ જેવી મહિલાઓ પ્રાકૃતિક ખેતી અપનાવીને આર્થિક અને સામાજિક રીતે આત્મનિર્ભર બની રહી છે. આ ખેતી માત્ર રાસાયણિક ખાતરો અને કીટનાશકોના ખર્ચમાંથી મુક્તિ આપે છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 5:21 am

કાર્યવાહી:મોડાસામાં ચરસ અને ગાંજાનો નશો કરવા વપરાતાં 43 રોલિંગ પેપરનો જથ્થો ઝડપાયો

રાજ્યના ગૃહ વિભાગે બહાર પાડેલ જાહેરનામા અનુસંધાને મોડાસા ટાઉન પોલીસે શહેરમાં મેઘરજ રોડ ઉપર આવેલ શ્રી ગાયત્રી ટેડર્સ પાન પાર્લરની દુકાનમાં અચાનક રેડ કરીને તપાસ હાથ ધરી હતી. દુકાનમાંથી ચરસ,ગાંજાના અલગ અલગ પ્રકારના નશા માટે ઉપયોગમાં લેવાતી સ્ટેશ પ્રો.રોલિંગ પેપર નંગ 43 કિંમત રૂપિયા 645નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વેચાણ કરતા શખ્સની અટકાયત કરીને તેની વિરુદ્ધ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો. અરવલ્લી એસપી મનોહરસિંહ એન.જાડેજા તથા આર.ડી.ડાભી નાયબ પોલીસ અધિક્ષકના સૂચનાઓના ભાગરૂપે ડી.બી.વાળા પોલીસ ઇન્સપેક્ટર કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકિંગમાં હતા. માહિતી મળી હતી કે મેઘરજ રોડ ઉપર આવેલ શ્રી ગાયત્રી ટેડર્સ પાન પાર્લરની દુકાનમાં પ્રતિબંધિત હોવા છતાં તેનું વેચાણ કરતો હોવાની માહિતી આધારે પોલીસે મુદ્દામાલ કબ્જે લઈ દુકાનના કાઉન્ટર પર બેઠેલા મનિષકુમાર શામજીભાઈ પટેલ રહે વેદ રેસિડેન્સી મોડાસા જિલ્લો અરવલ્લીની અટકાયત કરીને તેની વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. સરકારી ઇજનેરી કોલેજ પાસેની દુકાનોમાં પણ વેચાણ મોડાસા કોલેજ રોડ ચાર રસ્તા અને સરકારી ઇજનેરી કોલેજ પાસેના કોમ્પ્લેક્સમાં આવેલા પાર્લરમાં અને દુકાનોમાં ખુલ્લેઆમ રાજ્ય સરકારે બહાર પાડેલા જાહેર નામાનો સરેઆમ ભંગ થતો હોવાની લોકોની ફરિયાદ ઉઠી છે. કોલેજના વિદ્યાર્થીઓ અને અન્ય લોકો પણ નશા કારક રોલિંગ પેપરનો ઉપયોગ કરી રહ્યા હોવાનું અને આ દુકાનો અને પાર્લરમાં તેઓ અંદરના ભાગમાં બેઠક વ્યવસ્થા કરેલી હોવાથી ત્યાં રોલિંગ પેપરનો કશ ખેંચી રહ્યા હોવાનું લોકો જણાવી રહ્યા છે

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 5:19 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:રાજસ્થાન-બંગાળમાં 1 કરોડ વોટરના નામ નીકળી ગયા; નીતિશે હિજાબ ખેંચ્યા પછી નુસરત પરવીને બિહાર છોડ્યું; ચાંદીનો ભાવ 2 લાખને પાર

નમસ્તે, કાલના મોટા સમાચાર ચાંદી 2 લાખ રૂપિયાને પાર પહોંચી તેના વિશે રહ્યા. બીજા મોટા સમાચાર નીતિશ કુમારને મળેલી પાકિસ્તાની ડોનની ધમકી અંગેના રહ્યા.⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ભગવાન રામને કાલ્પનિક કહેવાના મામલે રાહુલ ગાંધી વિરુદ્ધ વારાણસી કોર્ટમાં સુનાવણી થશે. 2. યુપીમાં SIR અભિયાન વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. કાલના મોટા સમાચારો 1. ટ્રેનમાં સામાન લઈ જવાની લિમિટ નક્કી કરાઈ:વધારાના લગેજ પર લાગશે દંડ, એરપોર્ટ જેવા નિયમ; લોકસભામાં રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી ભારતીય રેલવેમાં મુસાફરી કરતા લોકો માટે સામાનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં માહિતી આપતા જણાવ્યું હતું કે, હવે નિર્ધારિત મર્યાદા કરતા વધુ સામાન લઈ જનારા મુસાફરો પાસેથી રેલવે દ્વારા વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે. મુસાફરોની સુવિધા અને ટ્રેનમાં ભીડને નિયંત્રિત કરવા માટે અલગ-અલગ કોચ મુજબ સામાનની મર્યાદા નક્કી કરવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. CMએ હિજાબ ખેંચ્યો હતો તે નુસરતે બિહાર છોડ્યું; નીતિશના બચાવમાં યુપીના નેતાનું વિવાદિત નિવેદન CM નીતિશ કુમારે જે મહિલા ડોક્ટર નુસરત પરવીનનો હિજાબ હટાવ્યો હતો. તેમણે બિહાર છોડી દીધું છે. તે હવે કોલકાતામાં પોતાના પરિવાર પાસે જતી રહી છે. 15 ડિસેમ્બરે આ ઘટના બની તેના બીજા જ દિવસે નુસરત કોલકાતામાં પોતાના પરિવાર પાસે આવી ગઈ. તે ભણવામાં ખૂબ જ હોશિયાર છે. ડોક્ટર બનવું તેમનું સપનું હતું. હાલમાં તેઓ બિહાર સરકારની નોકરી જોઈન નહીં કરે. પરિવાર નુસરત પરવીનને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ તેઓ પાછા બિહાર આવીને નોકરી જોઈન કરવાની હિંમત એકઠી કરી શકતી નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ઇથોપિયન સંસદમાં મોદીએ કહ્યું- આ સિંહોની ભૂમિ:મારું વતન ગુજરાત પણ સિંહોની ભૂમિ, PMને ઇથોપિયાનું સર્વોચ્ચ સન્માન મળ્યું; આ મેળવનાર પ્રથમ ગ્લોબલ લીડર વડાપ્રધાન મોદીએ બુધવારે ઇથોપિયન સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યું. આ વિશ્વની 18મી સંસદ છે જ્યાં વડાપ્રધાન મોદીએ ભાષણ આપ્યું છે. મોદીએ કહ્યું, મને ઇથોપિયામાં આવીને આનંદ થયો છે. આ સિંહોની ભૂમિ છે. મને અહીં ઘર જેવું લાગે છે, કારણ કે મારું વતન ગુજરાત પણ સિંહોની ભૂમિ છે. પીએમ મોદીએ 1.4 અબજ ભારતીયો વતી ઇથોપિયાને શુભેચ્છા પાઠવી. તેમણે ઇથોપિયન સંસદ, તેના લોકો અને તેમની લોકશાહી યાત્રા પ્રત્યે આદર વ્યક્ત કર્યો. મોદીએ કહ્યું કે જ્યારે લોકોની ઇચ્છાઓ અને સરકારની વિચારસરણી સમાન હોય છે, અને બંને સાથે મળીને આગળ વધે છે, ત્યારે દેશ આશા અને ધ્યેય સાથે વિકાસના માર્ગ પર ઝડપથી આગળ વધે છે. ઈથોપિયન સંસદના સંયુક્ત સત્રને સંબોધન પૂરું થતાં જ સાંસદોએ ઉભા થઈને તાળીઓ પાડીને મોદીનું સ્વાગત કર્યું. વાંચો સંપૂર્ણ સમાચાર 4. 5 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIRની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર:1 કરોડથી વધુ નામો કપાયા, આ કુલ મતદારોના 7.6%; સૌથી વધુ 58 લાખ બંગાળમાં નામ કપાયા ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR, સામાન્ય શબ્દોમાં મતદાર ચકાસણી) પછી મંગળવારે પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ગોવા, લક્ષદ્વીપ અને પુડુચેરીની ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પાડવામાં આવી. તેમાં કુલ મતદારોની સંખ્યામાં 7.6%નો ઘટાડો નોંધાયો છે. પંચના આંકડા મુજબ, 27 ઓક્ટોબરે SIRની જાહેરાત સમયે જ્યાં આ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 13.35 કરોડ મતદારો હતા, ત્યાં ડ્રાફ્ટ યાદીમાં આ સંખ્યા ઘટીને 12.33 કરોડ થઈ ગઈ છે. એટલે કે 1.02 કરોડ નામો દૂર કરવામાં આવ્યા છે. બંગાળમાં 58 લાખ 20 હજાર 898 મતદારોના નામ દૂર કરવા માટે ચિહ્નિત કરવામાં આવ્યા છે. રાજસ્થાનમાં 41.85 લાખ અને પુડુચેરીમાં 85 હજાર મતદારોના નામ કાપવામાં આવ્યા છે. આ સાથે, ઘરે-ઘરે જઈને માહિતી એકત્રિત કરવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે આગળ દાવો, વાંધો અને સુનાવણીની પ્રક્રિયા શરૂ થશે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ચાંદી પહેલીવાર ₹2 લાખને પાર:આજે ₹8,775 મોંઘી થઈ; આ વર્ષે કિંમત ₹1.15 લાખ વધી; 10 ગ્રામ સોનું ₹1.33 લાખનું થયું ચાંદી આજે એટલે કે 17 ડિસેમ્બરે પહેલીવાર 2 લાખ રૂપિયા પ્રતિ કિલોને પાર નીકળી ગઈ છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર એક કિલો ચાંદીની કિંમત 8,775 રૂપિયા વધીને 2,00,750 રૂપિયા પર પહોંચી ગઈ છે. આ પહેલા તે 1,91,977 રૂપિયા પર હતી. આ વર્ષે તેની કિંમત 1,14,733 રૂપિયા વધી ચૂકી છે. જ્યારે, સોનું આજે 936 રૂપિયા વધીને 1,32,713 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. આ પહેલા તે 1,31,777 રૂપિયા પર હતું. જ્યારે સોનાએ 15 ડિસેમ્બરે 1,33,442 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઓલ ટાઈમ હાઈ બનાવ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 6. દ્વારકાધીશના દર્શને જતાં પદયાત્રીઓને કાળ ભેટ્યો, CCTV:મોરબીના ચાચાવદરડા ગામે કન્ટેનર ભરેલા ટ્રકે પાંચને અડફેટે લીધા, ચાર શ્રદ્ધાળુનાં ઘટનાસ્થળે મોત બનાસકાંઠાના પદયાત્રીઓ દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશના દર્શનાર્થે જઈ રહ્યા હતા. રાત્રિરોકાણ બાદ સંઘ આગળ વધતાં બુધવારની સવાર તેમના માટે કાળમુખી સાબિત થઈ હતી. માળિયા-પીપળીયા હાઈવે પર ચાચાવદરડા ગામના પાટિયા પાસે એક પૂરપાટ ઝડપે આવતાં કન્ટેનર ભરેલા ટ્રકે પદયાત્રીઓના સંઘને અડફેટે લીધો હતો. આ દુર્ઘટનામાં 4 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. ત્યારે આ ઘટનાના કંપારી છોડાવે એવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. હવે મુસ્લિમ વકફોએ પણ કોર્ટ ફી ચૂકવવી પડશે:ગુજરાત HCએ વક્ફોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી 150 અરજી ફગાવી, હર્ષ સંઘવીએ કહ્યું- 'દેશના ઈતિહાસમાં આ સૌ પ્રથમ ચુકાદો' ગુજરાત હાઇકોર્ટે, કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી વકફ ટ્રસ્ટોની લગભગ 150 અરજીઓ ફગાવી દીધી છે. હવે વકફ સંસ્થાઓ કોર્ટ ફી ચૂકવ્યા વગર ટ્રિબ્યુનલમાં જઈ શકશે નહીં. રાજ્ય સરકાર તથા ગુજરાત રાજ્ય વકફ બોર્ડ તરફથી રજૂ થયેલા સરકારી વકીલ જી.એચ.વિર્કે દલીલ કરી હતી કે જો હિન્દુ મંદિર ટ્રસ્ટ, ચેરિટેબલ સંસ્થા, સહકારી સંસ્થા અથવા ખાનગી વ્યવસાય જેવી કોઈપણ સંસ્થાને ન્યાય મેળવવા કોર્ટ ફી ચૂકવવી પડે છે, તો વકફ સંસ્થાઓ પણ એ જ રીતે કોર્ટ ફી ચૂકવવાની ફરજદાર છે અને તેમને કોઈ ખાસ છૂટછાટ આપી શકાય નહીં. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : લુધિયાણા સેન્ટ્રલ જેલમાં અથડામણ, કેદીઓએ અધિકારીઓને માર્યા:જેલ સુપરિન્ટેન્ડેન્ટનું માથું ફોડ્યું; પ્રત્યક્ષદર્શીએ કહ્યું- 250 કેદીઓએ હુમલો કર્યો વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : 'ઓસ્ટ્રેલિયા આતંકી હુમલા પર અમને ખોટી રીતે બદનામ કર્યા':PAK બોલ્યું- આ ભારત-ઇઝરાયલ જેવા દુશ્મનોનું કાવતરું વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : રાહુલ બોલ્યા- મનરેગા ખતમ કરવો મહાત્મા ગાંધીનું અપમાન:PM મોદીને તેમના વિચારોથી સમસ્યા, પ્રિયંકાએ કહ્યું- સરકારને નામ બદલવાની ચાનક વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : 2 દિવસમાં ખૂલશે એપસ્ટીન સેક્સ સ્કેન્ડલ ફાઇલ:ટ્રમ્પનું નામ આવ્યું, દુનિયાભરના નેતાઓ-બિઝનેસમેનોમાં ફફડાટ; શું કોઈ ભારતીય પણ સામેલ? વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : આવી રહી છે ભારત ટેક્સી,ઓલા-ઉબરની ઉડી જશે ઉંઘ:લોકોને સસ્તી મુસાફરી-ડ્રાઇવરોને વધુ કમાણી, 1 જાન્યુઆરીથી લોન્ચિંગ; ડ્રાઇવરના ખિસ્સામાં 80% પૈસા વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : રામ સેતુથી T20 વર્લ્ડ કપ ટ્રોફી ટૂર લોન્ચ:પેરામોટરથી બ્રિજ ઉપર ફેરવવામાં આવ્યું; ટુર્નામેન્ટની શરૂઆત 7 ફેબ્રુઆરીથી શરૂ થશે વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : સૂર્યદેવની ગુરુ રાશિ ધનમાં એન્ટ્રી:મેષ-કર્કને મળશે ભાગ્યનો સાથ, કન્યા-ધનના જાતકોએ તબિયત સાચવવી; અન્ય રાશિ પર શું થશે અસર? વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન ખબર હટકે ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. સ્ટાર્ટઅપ સ્ટોરીઝ-3 રાજ્યની એકમાત્ર સિનેમા ચેઇન Connplex:9 રાજ્યમાં 96 સ્ક્રીન ને વર્ષે ₹125 કરોડનો બિઝનેસ; ફાઉન્ડર્સ કહે, ‘અમારે ત્યાં બધી જ સીટો રિક્લાઇનર છે’ 2. પ્રેમ બાદ ઝઘડો, સ્ટેમ્પ પેપર પર સમાધાન અને બદલો:છ મહિના સુધી પૂર્વ પ્રેમિકાનો પીછો ન છોડ્યો, છેલ્લા ફોનકોલમાં આપેલી ધમકી હત્યાનું કારણ બની 3. ભાસ્કર એક્સપ્લેનર : SIR પછી મતદારયાદીમાં નામ હશે કે નહીં? હમણાં જાણો:આ રહી સરળ ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ, લિસ્ટમાં નામ સામેલ કરવા 1 મહિનાનો સમય મળશે 4. ગ્રાઉન્ડ રિપોર્ટ : સિડનીમાં 15 યહૂદીઓની હત્યા કરનાર સાજિદ હૈદરાબાદનો:ખ્રિસ્તી મહિલા સાથે લગ્ન, પરિવાર સાથે સંબંધ તોડ્યો, પુત્ર બોલ્યો- અલ્લાહનો કાયદો સર્વોપરી 5. ભાસ્કર એક્સક્લૂસિવ : નીતિન નબીન BJPના કાર્યકારી અધ્યક્ષ બનવાની ઇનસાઇડ સ્ટોરી:PMની ઓનલાઇન મીટિંગ-શાહે લેટર બનાવડાવ્યો, 3 રાજદાર; ફોન આવ્યો- દિલ્હી આવો કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ:મેષ-મીનના જાતકો માટે ગ્રહોની સ્થિતિ ઉત્તમ રહેશે, મિથુન રાશિના લોકોને કાર્યમાં આવતા અવરોધો દૂર થશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 5:00 am

કાર્યવાહી:મ્યુલ એકાઉન્ટ સાયબર ફ્રોડ, હિંમતનગર શહેરમાં બે શખ્સના બેન્ક ખાતા સીઝ કર્યા

રાજ્ય સરકાર દ્વારા સાયબર ક્રાઈમમાં ઉપયોગમાં લેવાઈ રહેલ મ્યુલ એકાઉન્ટ વિરુદ્ધ ઝૂંબેશ શરૂ કરાતા જિલ્લામાં તેને લગતી ફરિયાદ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી બે શખ્સોનું એકાઉન્ટ સીઝ થતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવા જતા તપાસને અંતે છેતરપિંડી અંતર્ગત દિલ્હી સાયબર ક્રાઇમે બે એકાઉન્ટ હોલ્ડ કરાવ્યાની ખબર પડી હતી. જેમાં એક એકાઉન્ટમાં 10,000 અને બીજા એકાઉન્ટમાં રૂપિયા 30,000 ટ્રાન્સફર થયા હતા પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મહેતાપુરાના બ્રહ્માણી નગરમાં રહેતા કમલેશ દામોદરભાઈ સિસોદિયાના મિત્ર વિકાસ મનોહરલાલ સરગરા(રહે પોલોગ્રાઉન્ડ તબેલા વિસ્તાર હિંમતનગર) એ ઓક્ટોબર-24માં કમલેશને મળીને જણાવ્યું હતું કે મારા કાકાના દીકરા સુરેન્દ્ર ગેવરરામ ચૌહાણ (રહે.બિલાડા ઉચીયારડા કસબા તા.બીલાડા જી.જોધપુર )પાસે હું પૈસા માગું છું તે તારા એકાઉન્ટમાં પૈસા મોકલે તો તે પૈસા ઉપાડીને મને આપજે

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:53 am

રેલમંત્રીને રજૂઆત:કોરોનાના લીધે બંધ કરેલી નડિયાદ–મોડાસા રેલવે સેવા પણ પુનઃ શરૂ કરો : સંસદ સભ્ય

સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં અપગ્રેડેડ રેલ સુવિધાઓ માટે સાંસદે રેલ મંત્રીને મળી નવીન રેલ સેવાઓ ચાલુ કરવા અને નડિયાદ થી મોડાસા કોરોના વખતથી બંધ કરાયેલ સેવા શરૂ કરવા માંગ કરવા સહિત વિગતવાર રજૂઆત કરતા રેલ મંત્રીએ આગામી નવા વર્ષમાં વનડે ભારત ટ્રેન ચાલુ કરવાનું આશ્વાસન આપ્યું હતું. શોભનાબેન બારૈયા એ જણાવ્યું કે મુંબઈ અમદાવાદ હિંમતનગરથી ખેડબ્રહ્મા સુધી સીધી રેલ સેવા શરૂ કરવા માટે મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. દિલ્હી થી ઉપડતી ચેતક એક્સપ્રેસ જે દિલ્હી જયપુર અજમેર ઉદેપુર વીસ બાવીસ કલાક પડી રહે છે તેને હિંમતનગર અમદાવાદ અસારવા સુધી લંબાવવા રજુઆત કરી છે. તેમણે જણાવ્યું કે તેમના સંસદીય મતવિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો રોજગાર અને વ્યવસાય માટે મુંબઈ, સુરત અને વલસાડ વિસ્તારમાં વસવાટ કરે છે. હાલ આ વિસ્તારના મુસાફરોને મોટાભાગે બસ દ્વારા લાંબી અને અસુવિધાજનક મુસાફરી કરવી પડે છે. આ માર્ગ પર સીધી રેલ સેવા શરૂ કરવામાં આવે તો મુસાફરોને વધુ સુવિધાજનક, સુરક્ષિત અને સમય બચાવતી મુસાફરી ઉપલબ્ધ થશે, તેમજ વિદ્યાર્થીઓ, શ્રમિકો અને સામાન્ય જનતાને મોટો લાભ મળશે. સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા એ કેન્દ્ર સરકાર અને રેલવે વિભાગને આ બાબત પર તાત્કાલિક વિચાર કરી જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરી છે, જેથી વિસ્તારના લોકોની લાંબા સમયથી ચાલતી માંગ પૂર્ણ થઈ શકે. કોરોના મહામારી બાદ નડિયાદ–મોડાસા માર્ગ પર રેલવે સેવા બંધ કરવામાં આવી છે, જેના કારણે આ માર્ગ પર મુસાફરી કરતા યાત્રિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેને ધ્યાને લઈ સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ મુંબઈ સુરત નડિયાદ કપડવંજ મોડાસા માર્ગ પર રેલવે સેવા પુનઃ શરૂ કરવા માટે મહત્વપૂર્ણ રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે રેલવે વિભાગને આ માર્ગ પર વહેલી તકે રેલ સેવા પુનઃ શરૂ કરવા વિનંતી કરી છે, જેથી યાત્રિકોને સુરક્ષિત, સુવિધાજનક અને સમય બચાવતી મુસાફરી ફરીથી મળી શકે અને વિસ્તારના વિકાસને વેગ મળી શકે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:51 am

ભૂવાએ બાળકીને પીંખી નાખી:સોનાની લગડીની લાલચમાં માસાએ 12 વર્ષની ભાણીને ભૂવાને સોંપી

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના બે શખ્સોએ સોનાની લ્હાયમાં દીકરી સમાન 12 વર્ષીય સગીરાને ભૂવાને સોંપી દીધા બાદ 62 વર્ષી ભૂવાએ રાત્રિ દરમિયાન બબ્બે વખત પીંખી નાંખ્યાની ચકચારી ઘટના બહાર આવી છે. સંવેદનશીલ ઘટનામાં પોશીના પોલીસે ભૂવો, માસો અને કુટુંબી કાકાને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. પોશીના તાલુકાની 12 વર્ષીય સગીરાના પિતા ઇડર તાલુકામાં ભાગીયા તરીકે રહે છે અને સગીરા તેના કાકા સાથે રહે છે. તા. 14-12-2025ના રોજ કાકા-કાકી અંબાજી દર્શન કરવા ગયા હતા. તે દરમિયાન સવારે દસેક વાગ્યે સગીરાના માસા સુરેશ અજાભાઇ બૂબડીયા અને કુટુંબી કાકા મીરખાન માલાભાઇ બૂબડીયા ઘેર આવ્યા હતા અને પોશીના બજારમાં જઇને આવીએ છીએ કહી સગીરાને લઇ ગયા હતા. કાકા-કાકી પરત આવતા સાંજે 4 વાગ્યા સુધી સગીરા પરત ઘેર આવેલ ન હોઇ અને તેના માસા લઇ ગયાની ખબર પડતા તેના ઘેર જઇ સગીરાની માસી રેહીબેનને પૂછતા તેણે પણ માતાએ દર્શન કરવા લઇ ગયાનું કહેતા રાત્રે દસ વાગ્યા સુધી રાહ જોઇ ફરીથી તપાસ કરવા જતા ટેહીબેને જણાવ્યું કે રસ્તામાં છે ચિંતા ન કરો ઘેર આવી જશે. બીજા દિવસે સવારે તેના ઘેર જતા સુરેશ અને મીરખાન ઘેર નહતા અને સાંજે ચારેક વાગ્યે મીરખાનના ઘર આગળ સગીરા હોવાની જાણ થતા બધા ત્યાં પહોંચ્યા હતા અને સગીરાને પૂછતા તેણે જણાવ્યું હતું કે ગઇકાલે સવારે બંને જણા ઘેર આવી પોશીના બજારમાં કામ છે. કહી બાઇક પર લઇ ગયા હતા અને પોશીના બજારમાં ઇકોમાં બેસાડી 50 રૂપિયા આપી હડાદ ફેકટરીએ ઉભી રહેજે કહી બંને જણા બાઇક પર ફેકટરીએ આવ્યા હતા અને બાઇક પર બેસાડી ગોળા ગામે એક ખેતરમાં ઓરડીમાં લઇ ગયા હતા અને એક અજાણ્યા માણસને બોલાવી સગીરાને સોંપી બંને જતા રહ્યા હતા અને રાત્રિ દરમિયાન કથિત ભૂવો સગીરા સાથે બબ્બે વખત દુષ્કર્મ આચરતો રહ્યો હતો. સવારે સગીરાના માસા અને કાકા બંને પરત આવતા કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ કહી ભૂવો જતો રહ્યો હતો અને આ બંને જણાએ ભૂવા પાસેથી કંઇક લીધું હતુ અને બંને જણાએ સગીરાને બાઇક પર બેસાડી દાંતા પહોંચી ચા નાસ્તો કર્યા બાદ બપોરે સાડા ત્રણેક વાગ્યે સગીરાને ગામ નજીક ચાર રસ્તા ખાતે ઉતારી દીધી હોવાનું જણાવ્યા બાદ કાકાએ સગીરાને પોશીના સરકારી દવાખાનામાં સારવાર કરાવી ત્રણ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોશીના પીઆઇ એલ.જે.વાળાએ જણાવ્યું કે, ગુનો નોંધી સુરેશ અજા બૂબડીયા અને મિરખાન માલા બૂબડીયાને પકડી લઇ પૂછપરછ કરી ભૂવાગીરી કરતા જવાનજી કુવરજી ઠાકોર .(ઉ.વ. 62 રહે. 251, ઠાકોરવાસ, સાકરી તા. ખેરાલુ)ને પકડી લીધો છે. ત્રણેયની વિરુધ્ધ હવે દુષ્કર્મ, પોકસો સહિતની કલમો ઉમેરી આગળની કાર્યવાહી હાથ ધરાશે. સમાચારથી શીખરાતોરાત અમીર બનવાની લાલચ અને ચમત્કારોમાં અંધવિશ્વાસ રાખનારા લોકોએ સમજવું જોઈએ કે પરસેવાની કમાણી સિવાય ક્યાંયથી સોનું વરસતું નથી. આવા પાખંડી ભુવાઓ માત્ર લાલચુ લોકોનું આર્થિક અને શારીરિક શોષણ જ કરે છે. આ રહ્યા નરાધમો(1) સુરેશ અજા બૂબડીયા (2) મિરખાન માલા બૂબડીયા (3) જવાનજી કુવરજી ઠાકોર . (ઉ.વ. 62 રહે.સાકરી તા. ખેરાલુ) રાત્રિ દરમિયાન નરાધમ નીચતા આચરતો રહ્યો હતો અને‎બંને જણાએ દૂર રહીને સોનાની આશામાં રાત પસાર કરી‎બનાસકાંઠા જિલ્લાના જલોત્રા નજીક ગોળા ગામની આજુબાજુમાં ખેતમજૂરી ભાગીયા તરીકે અગાઉ કામ‎કરવા દરમિયાન સુરેશ અજા બૂબડીયા અને મિરખાન માલા બૂબડીયા એક વખત બસ સ્ટેન્ડ પર ઉભા હતા.‎તે દરમિયાન જવાનજી કુવરજી ‎ઠાકોરના સંપર્કમાં આવ્યા હતા‎અને પોતે ભૂવો હોવાનું અને ‎સોનું કાઢી આપતો હોવાનું‎જણાવ્યા બાદ દસ પંદર ‎દિવસ પછી બંને જણા‎જવાનજી ઠાકોરને મળ્યા હતા અને સોના માટે વાત કરતા જવાનજી ઠાકોરે 15 વર્ષથી નાની કુમારિકાની‎જરૂર પડશે અને તેની પાસે વિધિ કરાવવી પડશે કહ્યું હતું. ત્યારબાદ સુરેશ બૂબડીયાએ કાકાને ઘેર રહેતી‎સગીર ભાણીને લઇ જવાનું મીરખાન સાથે મળી પ્લાનીંગ કરી કાકા-કાકી અંબાજી દર્શને ગયા તે જ દિવસે‎ભાણીને પોશીના બજારમાં લઇ ગયા અને પહેલા ઇકોમાં બેસાડી હડાદ ફેકટરી અને ત્યાંથી બાઇક પર‎બેસાડી 80 કિ.મી. દૂર બનાસકાંઠા જિલ્લામાં જલોત્રા નજીક આવેલ ગોળા ગામે ખેતરની ઓરડીમાં રહેતા‎નરાધમ વૃધ્ધને દીકરી જેવી ભાણીને સોંપી દીધી. રાત્રિ દરમિયાન નરાધમ નીચતા આચરતો રહ્યો હતો અને‎બંને જણા દૂર રહી સોનાની આશામાં રાત પસાર કરી વહેલી સવારે ઓરડી પર આવતા બનાવટી સોનાની‎લગડી પકડાવી દીધી જેની પોલીસ દ્વારા ચકાસણી કરવામાં આવનાર છે.‎

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:50 am

યુવતીએ પિતા-ભાઈઓ સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવી:પાલનપુરના ભુતેડી ગામે સાસરે જવા મુદ્દે વિધવા દીકરી પર પિતા સહિતે મારપીટ કરી

પાલનપુર તાલુકાના ભુતેડી ગામે એક વિધવા યુવતી પર સાસરીમાં જવા મામલે થયેલ ઝગડો કરી મારપીટ કરી હતી. તેણીએ પોતાના પિતા, ભાઈઓ અને સગાં સામે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. ભુતેડી ગામે પિયરમાં રહેતી વિધવા સોનલબેન ઠાકોરએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમણે ચાર વર્ષ પહેલા અમીરગઢના કિરણજી ગણેશજી ઠાકોર સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પતિનું જુલાઈ2024 માં અકસ્માત બાદ મોત થતા તેઓ એક નાનકડા દીકરા સાથે હાલ પિયરમાં રહે છે. સોમવારે તેમની સાસુ રમીલાબેન ઠાકોર અકસ્માત ક્લેઇમની જુબાની બાબતે મળવા આવી હતી. સોનલબેને સાસરે જવાની તૈયારી બતાવતા પિયરવાળા ઉશ્કેરાઈ ગયા હતા. ફરીયાદ મુજબ પિતાએ વાળ પકડી રીક્ષામાંથી ખેંચી નીચે પાડી, ભાઈએ લાતો મારી અને બાદમાં મોટા બાપા તથા કાકાના દીકરાએ પણ થપ્પડ અને લાતોથી હુમલો કર્યો હતો.આ ઉપરાંત સાસરે જશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપ્યાનો પણ આરોપ છે. ગંભીર ઈજાઓ થતા સાસુ અને દિયર તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. આ મામલે સોનલબેને તેમના ભાઈ કૈલાશભાઈ સવાભાઈ સોડલા, પિતા સવાભાઈ ઇશ્વરભાઇ સોડલા,કાકા મૂળજીભાઈ ઇશ્વરભાઇ સોડલા, કપૂરજી ઇશ્વરભાઇ સોડલા અને વિક્રમભાઈ વરસંગભાઈ સોડલા સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:40 am

લાખોનો ઘીનો જથ્થો જપ્ત:ચંડીસર જીઆઈડીસીમાં ગોડાઉન સંચાલક છઠ્ઠા દિવસે પણ ન આવતાં તાળું તોડી શંકાસ્પદ ઘીના સેમ્પલ લેવાયા

ચંડીસર જીઆઇડીસીમાં આવેલી શ્રી સેલ્સ એજન્સીના ગોડાઉનમાં પાંચ દિવસ પહેલા ફુડ વિભાગે આકસ્મિક તપાસ કરતા જ સંચાલક બંને ગોડાઉન સીલ કરીને ભાગી ગયો હતો જે બાદ છેલ્લા છ દિવસથી પોલીસ કર્મીઓ અને ફૂડ વિભાગ ગોડાઉન સીલ કરીને બહાર કેમ્પસમાં સંચાલકની રાહ જોઈને બેસી રહ્યા હતા છ દિવસે પણ સંચાલક ન આવતા આખરે ફૂડ વિભાગ એ જિલ્લા કલેકટર નું ધ્યાન દોરતા સ્પેશિયલ મંજૂરી આપવામાં આવી હતી અને મામલતદાર સમક્ષ તાળું તોડીને ગોડાઉનમાં રાખેલા માલની ગણતરી કરવામાં આવી હતી. જોકે બંને ગોડાઉનમાં રાખવામાં આવેલો ઘીનો જથ્થો મોટી સંખ્યામાં જથ્થો હોવાથી મોડી રાત સુધી કામગીરી જારી રહી હતી. ફૂડ વિભાગના સૂત્રોએ જણાવ્યું કે મામલતદાર ટીમને સાથે રાખીને પંચ અને સાક્ષીની રૂબરૂમાં ઇન કેમેરાએ બપોરે ગોડાઉન પરના સીલ ખોલવામાં આવ્યા હતા ડીપી રિપેરિંગ કરવાના કારખાનામાંજ ગોડાઉનમાં ઘીનો જથ્થો સચવાયેલો હતોભાસ્કર ટીમ જ્યારે ગોડાઉન પર પહોંચી ત્યારે બહારથી ખ્યાલ ના આવે કે અહીં ઘીનું ગોડાઉન હશે કારણ કે કેમ્પસની અંદર ડીપી રીપેરીંગ ની કામગીરી ચાલી રહી હતી અને એજ કેમ્પસમાં ડીપી રીપેરીંગ એકમના સંચાલકે ઘીના ગોડાઉન માટે ડીસાના મોદી બંધુને ભાડે આપેલો હતો. તાળુ તોડીને જ્યારે ફૂડ વિભાગની ટીમ અંદર પહોંચી ત્યારે પહેલા જમણી બાજુ સીલબંધ રૂમ બનાવેલો છે જે ખાલી હતો. જ્યારે બહારના ભાગે ખુલ્લી જગ્યામાં 15 કિલો એક કિલોના પેકિંગ ટીનમાં જુદી જુદી બ્રાન્ડના ઘીનો જથ્થો જોવા મળ્યો હતો. જ્યારે પાછળખુલ્લા ડબ્બા અને પેકિંગ માટેના બોક્સનો વિશાળ હતો.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:37 am

ટ્રાફિક જામ‎:પાલનપુરમાં ધણીયાણા ચોકડીથી એક‎તરફનો માર્ગ બંધ થતાં ટ્રાફિક જામ‎

પાલનપુર શહેરની અંદર જતા મુખ્ય માર્ગ પર ધણીયાણા ચોકડી પાસે જીયુડીસીની પાઈપલાઈન નાખવા એક તરફનો રસ્તો બંધ કરાતા બુધવારના રોજ સવારે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ,નોકરીએ જતા કર્મચારીઓ તેમજ અન્ય મુસાફરો લાંબા સમય સુધી રસ્તામાં ફસાઈ ગયા હતા અંબાજી હાઇવેથી પાલનપુર શહેરની અંદર જવાના મુખ્ય માર્ગ પર ધણીયાણા ચોકડી પાસે બુધવાર સવારે એક તરફનો રસ્તો અચાનક બંધ કરાતા સવારથી જ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. માર્ગ બંધ થવાને કારણે બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.ખાસ કરીને શાળાએ જતા વિદ્યાર્થીઓ,નોકરીએ જતા કર્મચારીઓ તેમજ દૈનિક આવન-જાવન કરતા મુસાફરો ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા. ટ્રાફિક જામના કારણે લોકોને સમયસર પોતાના નિર્ધારિત સ્થળ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્કૂલ બસો, ટુ-વ્હીલર, કાર તેમજ ભારે વાહનો પણ લાંબા સમય સુધી અટવાયેલા રહ્યા હતા. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી વાહન વ્યવહારને વ્યવસ્થિત કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ધણીયાણા ચોકડીથી એક તરફનો માર્ગ બંધ થતા ટ્રાફિક જામ સર્જાયું

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:35 am

નોટિસ:મોરબી મહાનગરપાલિકાની બાકી વેરો ધરાવતા આસામીઓ સામે લાલ આંખ

મોરબી મહાનગરપાલિકા દ્વારા લાંબા સમયથી વેરો ન ભરનાર મિલકત ધારકો પાસેથી વેરો વસૂલવા માટે કાર્યવાહીનો રસ્તો અપનાવાયો છે. લાંબા સમયથી વેરો ન ભરનાર લગભગ 1200 આસામીઓ કે જેમના બાકી લેણાં રૂ. 50 હજારથી વધુ અને 1 લાખથી ઓછા હોય તેવા આસામીઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે મનપાના વેરા કલેક્શન શાખા દ્વારા હાઉસ ટેક્સ, કોમર્સિયલ મિલકતનાના ટેક્સ ધારકોની યાદી તૈયાર કરી રીમાઇન્ડર નોટિસ ફટકારવામાં આવી રહી છે. મોરબીમાં સામાન્ય રીતે ફેબ્રુઆરી, માર્ચમાં વેરો ભરનારની સંખ્યામાં ઉછાળો જોવા મળતો હોય છે, હાઉસ ટેક્સ ભરતા લોકોનું પ્રમાણ વધાર હોય છે ચાલુ વર્ષમાં ખુબ મોટા પ્રમાણમાં મિલકત ધારકો વેરો ભરવા પહોચ્યા નથી, શહેરમાં એવા રહેણાક, વ્યાવસાયિક એકમો આવેલા છે જે વર્ષોથી વેરો ભરવા નથી આવતા જેથી લાખો રૂપિયાનો વેરો બાકી બોલે છે. વારંવારની અપીલ, સૂચનાઓ છતાં આસામીઓ વેરો ભરવામાં આળસ કરી રહ્યા હતા. આ સ્થિતિને ધ્યાને રાખી, ચાલુ નાણાકીય વર્ષના અંતિમ તબક્કા પહેલા મહત્તમ વસૂલાત કરવાના લક્ષ્યાંક સાથે મનપાનીની ટીમો મેદાને ઉતરી છે, રૂ 50 હજારથી વધુ તેમજ એક લાખની મર્યાદામાં બાકી હોય તેવા 1200 મિલકત ધારકોની યાદી તૈયાર કરી તેઓને નોટીસ ફટકારવામાં આવી છેે. મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ બાકીદારોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ પોતાના મિલકત વેરાની ચુકવણી કરી શહેરના વિકાસમાં સહભાગી બને અને કાયદેસરની જપ્તી કે સીલિંગની કાર્યવાહીથી બચે. આગામી દિવસોમાં આ ઝુંબેશ હજુ વધુ તેજ બનાવવામાં આવશે અને 1 લાખથી વધુનો વેરો બાકી હોય તેવા આસામીઓ સામે પણ તવાઈ બોલાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:21 am

આપઘાત:મોરબીમાં પિતાના કામ બાબતના વેણ કડવા ઝેર જેવા લાગતા પુત્રએ ઝેર ગટગટાવી લીધું

મોરબીના બગથળા ગામે વાડીએ રહેતા, મજૂરી કામ કરતા પિતાએ કામ મામલે તેના પુત્રને ઠપકો આપતા આ વેણ કડવા ઝેર જેવા લાગતા પુત્રએ ઝેર ગટગટાવી લીધું હતું, સામાન્ય બાબતમાં પુત્રએ કાચી સમજણમાં અવિચારી પગલું ભરી લેતા તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે. મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી, હાલમાં મોરબીના બગથળા ગામે આવેલી વાડીએ રહેતા, મજૂરી કામ કરતા હરસિંગભાઈ ભુરીયાના દીકરા ચકાભાઇ ભુરીયાએ કપાસમાં છાંટવાની દવા પી લેતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈને આવ્યા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેથી હોસ્પિટલ મારફતે આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ચકાભાઇ ભુરીયાને તેના પિતાએ કામ બાબતે ઠપકો આપતા તેને સારું લાગ્યું ન હતું. આથી આ બાબતે લાગી આવતા પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે લઈને આવ્યા હતા. જો કે, સારવાર કારગત ન નિવડતા તે સગીરનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જે બનાવની તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:19 am

લોકો પરેશાન:હારિજના ઇન્દિરાનગરમાં છ માસથી ગટર ઉભરાતા લોકોને ભારે હાલાકી

હારિજ શહેરના ઇંદિરાનગર વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી ગટર ઉભરાવાની સમસ્યા સર્જાઈ છે.તૂટેલા ગટરના ઢાંકણા મોતના કૂવા સમાન બન્યા હોવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય સ્થાનિકોએ સ્વાગતમાં ફરિયાદ કરી છે. ઇન્દિરાનગરમાં છેલ્લા છ મહિનાથી ગટર ઊભરાવાની સમસ્યાને લઈને સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા આ સમસ્યાનો કોઈ નિકાલ આવ્યો નથી સ્થાનિક રહીશ ભગાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે નગરપાલિકાના કર્મચારીઓએ ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરી ગમે ત્યાં ફરિયાદ કરો, કામ તો અમારે જ કરવાનું છે, માટે માપે લખો અને માપે રહો તેવા જવાબ અપાતાં હોવાનું તેમણે જણાવ્યું હતું.સાથે સાથે અન્ય વિસ્તારોમાં ફોન પર સફાઈ થાય છે.પરંતુ ઇંદિરાનગર સાથે ઓરમાયું વર્તન રાખે છે.સ્થાનિક અનુસૂચિત જાતિના કોર્પોરેટર પાટણ રહેતા હોવાના કારણે તેઓ પણ આ વાતને ધ્યાને લેતા નથી.નાછૂટકે આ મામલે સ્વાગતમાં ફરિયાદ કરી છે અને આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:15 am

આધેડનું મોત:વરાણામાં ખોડિયાર માતાના મંદિર નજીક ઇકોચાલકે 3ને અડફેટે લીધા

સમી તાલુકાના વરાણા ગામે ઇકોચાલકે ત્રણ લોકોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.જેમાં એક પગપાળા જતા ગામના આધેડ સહિત બાઈક સવાર કૌટુંબિક ભાઈ-બહેનને વરાણા ખોડિયાર માતાજીના મંદિર સામે રોડ ટક્કર મારતાં જે પૈકી આધેડનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે બાઇક પર સવાર અન્ય બંનેને ગંભીર ઇજાઓ પહોંચતા પાટણની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. વરાણા ગામે મંગળવારે ​બપોરે ગામના વતની ચંડીદાન ગઢવી ખોડિયાર મંદિર સામેના રોડ પરથી પગપાળા જઈ રહ્યા હતા.આ સમયે એક અજાણ્યા ઇકો ગાડીના ચાલકે ટક્કર મારી હતી.ટક્કર માર્યા બાદ ભાગવા જતા સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા આગળ જઈ બાઇક સવાર શૈલેષભાઈ સિંધવ અને તેમની બહેન સ્નેહાબેન સિંધવને પણ અડફેટે લીધા હતા. ત્રણેયને ગંભીર ઇજાઓ થતા ઈકો ગાડી ચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. ત્રણેય ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન આધેડ ચંડીદાન ગઢવીનું સારવાર દરમ્યાન મોત થયું હતું. પિતાની અંતિમ વિધિ પતાવ્યા બાદ તેમના પુત્રએ સમી પોલીસ મથકે ઇકોના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.​ આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત શૈલેષભાઈ અને સ્નેહાબેનને હાથ-પગમાં ફ્રેક્ચર થતા પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ચાલક ઇકો મૂકીને નાસી ગયોહારિજ પોલીસે જણાવ્યું હતું કે વરાણા ખોડીયાર માતાના મંદિરે દર્શન કરવા આવેલા એક ઇકોચાલક દર્શન કરીને ઇકો લઈને નીકળતા એક પગપાળા જઈ રહેલા વૃદ્ધને અડફેટે લીધા હતા.ત્યારબાદ ઇકોચાલકે પૂરઝડપે વાહન હંકારી અન્ય બે વ્યક્તિઓને પણ અડફેટે લીધા હતા. અકસ્માત સર્જી ઇકોનો ચાલક ઇકો મૂકીને નાસી ગયો હતો.પોલીએ ઇકો ગાડી પોલીસ સ્ટેશન લાવી ગાડીચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:14 am

ભાસ્કર ઈનસાઈડ:સિદ્ધપુરના કુવારાથી મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ તબીબ ઝડપાયો

સિદ્ધપુરના કુવારા ગામે મહાદેવ મંદિર સામેની એક દુકાનમાં દરોડો પાડી મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી સોમાજી ઉર્ફે સુનીલ ઠાકોર માત્ર ધોરણ 12 પાસ છે, છતાં છેલ્લા એક વર્ષથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યો હતો.ઘટનાસ્થળેથી પોલીસને રૂ.1902ની કિંમતની દવાઓ અને મેડિકલ સાધનો મળી આવ્યા છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ કાકોશી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. કમ્પાઉન્ડરમાંથી ડોક્ટર બની જાય છે છેલ્લા એક વર્ષમાં એસઓજીએ 33 જેટલા બોગસ તબીબી પ્રેક્ટિક્સ કરતા શખ્સો પકડાયા છે.આ પૈકી મોટા ભાગના 20થી 50 વર્ષના યુવાન વ્યવસ્થા વાળા યુવકો છે. જેવો અગાઉ 4-5 વર્ષ સુધી કમ્પાઉન્ડર તરીકે કોઈ હોસ્પિટલમાં કામ કરી ચૂક્યો છે. એ અનુભવના જોરે તેણે ગામડામાં પોતાનું અલગ ક્લિનિક ખોલી દીધું હતું. મોટા ભાગે આમનું શિક્ષણ માત્ર ધોરણ 12 પાસ હોય છે.છતાં 4-5 વર્ષ કમ્પાઉન્ડર તરીકે નોકરી કરી તબીબી અનુભવ મેળવી ક્લિનિક શરૂ કરી દે છે અને દરરોજ 8થી 10 લોકોની સારવાર કરી દૈનિક રૂ 1,000થી વધુ કમાણી કરી લે છે. ગણતરીના કલાકોમાં જામીન પર છૂટી જાય છે એસ.ઓ.જી. પોલીસે છેલ્લા એક વર્ષમાં કુલ 33 બોગસ તબીબોને પકડી પાડ્યા છે. જે સારી બાબત છે. પરંતુ કાયદાની જોગવાઈમાં જામીન પાત્ર ગુનો હોય એ પણ પોલીસ સ્ટેશનથી જ મળવાપાત્ર હોય આરોપીઓ પકડાયા બાદ કલાકોમાં જ તેમને પોલીસ સ્ટેશનમાંથી જામીન મળતા છૂટી ગયા છે હાલમાં તેમની ઉપર કેસ ચાલી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:13 am

એસપીએ બેંક મેનેજરો સાથે બેઠક કરી:પાટણ જિલ્લાનાં શંકાસ્પદ 200થી વધુ બેન્ક એકાઉન્ટની પોલીસ તપાસ કરશે

પાટણ જિલ્લામાં સાયબર ક્રાઈમને રોકવા માટે પોલીસે કડક પગલાં લીધા છે. જિલ્લા પોલીસ અધિક્ષકે તમામ બેંકોના મેનેજરો સાથે બેઠક યોજી શંકાસ્પદ 200 ખાતાઓના ટ્રાન્ઝેક્શનની માહિતી તાત્કાલિક આપવા સૂચના આપી છે. કેટલાક લોકો કમિશનની લાલચમાં પોતાના બેંક ખાતાનો ઉપયોગ સાયબર ઠગોને કરવા દે છે, જેનાથી મોટા પાયે છેતરપિંડી થાય છે અને દેશના અર્થતંત્રને નુકસાન થાય છે. આવા કિસ્સાઓમાં બેંકો દ્વારા શંકાસ્પદ ખાતાધારકોની માહિતી આપવામાં વિલંબ થતો હોવાથી ગુનેગારો સુધી પહોંચવામાં મુશ્કેલી પડે છે.ત્યારે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયી અને સાયબર ક્રાઈમ પી.આઈ. વસાવાએ સરકારી અને ખાનગી બેંકોના મેનેજરોની બેઠક બોલાવી હતી. જેમાં ડીવાયએસપી ડી.ડી. ચૌધરી, એલસીબી પીઆઈ રાકેશ ઉનાગર સહિ બેંક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં એસપીએ બેંક અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે, સાયબર ફ્રોડમાં સંડોવાયેલા શંકાસ્પદ ખાતાઓની જાણકારી પોલીસને તાત્કાલિક પૂરી પાડવામાં આવે. અત્યાર સુધીના કિસ્સાઓમાં જાણવા મળ્યું છે કે, ખાતાધારકો અમુક ટકા કમિશન લઈને સાયબર ઠગોને તેમના ખાતાનો ઉપયોગ નાણાં સંગ્રહ કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. પોલીસ દ્વારા આવા શંકાસ્પદ ખાતાઓની તપાસ માટે પત્રવ્યવહાર કરવામાં આવે ત્યારે બેંકો દ્વારા સત્તાવાર માહિતી પૂરી પાડવામાં વિલંબ થવાથી ગુનાઓ ઉકેલવામાં મુશ્કેલીઓ ઊભી થાય છે.આથી, પોલીસે બેંકોને આ મામલે કડક સૂચનાઓ આપી છે. 5 બેંક એકાઉન્ટમાં અનઅધિકૃત ટ્રાન્જેક્શન થયુંભારત સરકારના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કો-ઓર્ડિનેશન સેન્ટર મારફતે પાટણ જિલ્લાનાં 200થી વધુ બેન્ક એકાઉન્ટમાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયા હોવાની પોલીસને માહિતી મળી છે જેના આધારે પાટણ સાયબર ક્રાઇમ સહિતની પોલીસે એક બાદ એક શંકાસ્પદ બેંક એકાઉન્ટોની તપાસ શરૂ કરી છે.જેમાં પાંચ એકાઉન્ટમાં અનઅધિકૃત ટ્રાન્જેક્શન થયું હોવાનું જણાયું છે. જેમાં પોલીસે પાંચ કેસ દાખલ કરી તપાસ માટે કુલ નવ આરોપીઓની ધરપકડ કરી છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:11 am

15 પશુ બચાવ્યાં:સિદ્ધપુરના ખળી થી ટ્રકમાં કતલખાને લઈ જવાતાં 15 પશુ બચાવ્યાં

સિદ્ધપુર તાલુકામાં પશુ તસ્કરીની મોટી ઘટના સામે આવી છે. તાલુકાના ખળી ગામની સીમમાં પશુઓને અત્યંત ક્રૂરતાપૂર્વક ભરીને લઈ જતી એક આઈસર ટ્રકને પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડી છે. પોલીસને બાતમી મળી હતી કે એક આઈસર ગાડીમાં પશુઓને ખીચોખીચ ભરીને ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવી રહ્યા છે, જેના આધારે PSI પી.એમ. પટેલની ટીમ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન GJ-02-AT-1643 નંબરની આઈસર ટ્રકમાંથી 15 ભેંસ અને પાડા દયનીય હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાસ્થળે પોલીસને જોઈને વાહનચાલક ટ્રક મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. ટ્રકમાં તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, પશુઓ માટે ઘાસચારા કે પાણીની કોઈ જ વ્યવસ્થા નહોતી અને તેમને કતલખાને લઈ જવાતા હોવાની પ્રબળ શંકા સેવાઈ રહી છે. પોલીસે આ પશુઓને તાત્કાલિક મુક્ત કરાવી નાગવાસણ પાંજરાપોળ ખાતે સુરક્ષિત મોકલી આપ્યા છે. પોલીસે આઈસર ટ્રક અને પશુઓ મળી કુલ રૂ. 11.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ પશુ સંરક્ષણ ધારા હેઠળ ગુનો નોંધી તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:10 am

આયોજન:એલ્ફિન્સ્ટન પુલ તોડવાનું કામ આવતા અઠવાડિયાથી

એલ્ફિન્સ્ટન પુલના રેલવે માર્ગ પરનું માળખુ હટાવવાના કામની શરૂઆત આવતા અઠવાડિયાથી થશે. મધ્ય રેલવે માર્ગમાં શરૂઆતના દરેક બે કલાકના એવા કુલ 19 બ્લોક રાતના સમયે લેશે. એ સમયે પુલના ગર્ડર્સનું કટિંગ કરવામાં આવશે. આ સંદર્ભે રેલવે બોર્ડના અધિકારીઓ સાથે ચર્ચા કરીને બ્લોકનું અંતિમ ટાઈમટેબલ નક્કી કરવામાં આવશે. તેમ જ એલ્ફિન્સ્ટન પુલનું પશ્ચિમ તરફનું માળખુ હટાવવા પશ્ચિમ રેલવેના બ્લોકની જરૂર છે. એના માટે પશ્ચિમ રેલવેના વરિષ્ઠ સ્તરે ચર્ચા ચાલુ છે. એલ્ફિન્સ્ટન પુલ તોડી પાડીને એના ઠેકાણે વરલી-શિવરી એલિવેટેડ ફ્લાયઓવર બાંધવામાં આવશે. આ ધ્યાનમાં લેતા મધ્ય રેલવે અને મહારેલ વચ્ચે બેઠક પાર પડ્યા પછી આખરે મધ્ય રેલવેમાં બે બે કલાકના 19 બ્લોક લઈને તોડકામની શરૂઆત કરવા પર વિવિધ પ્રશાસકીય યંત્રણાઓ એકમત થઈ છે. ઉપરાંત વધુ કલાકના સ્વતંત્ર મેગાબ્લોક માટે જરૂરી રેલવે બોર્ડની મંજૂરીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. હાલ તો રેલવે તરફથી બે કલાકના 19 બ્લોક મળીને આવતા અઠવાડિયામાં સોમવારે કે મંગળવારે પુલનું લોખંડનું માળખુ હટાવવાના કામની શરૂઆત કરવામાં આવશે એવી માહિતી મહારેલના વ્યવસ્થાપકીય સંચાલક રાજેશકુમાર જયસ્વાલે આપી હતી. મધ્ય રેલવેમાં રાતના સમયે મોટા પ્રમાણમાં લાંબા અંતરની મેલ-એક્સપ્રેસની અવરજવર ચાલુ હોય છે. તેથી રાતના સમયે લેવામાં આવનારા 19 બ્લોકના લીધે લોકલ ટ્રેન સાથે જ મેલ-એક્સપ્રેસની અવરજવર પર અસર થવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:00 am

ફરિયાદ:તળાજાના બોડકી ગામે સમાધાન માટે આવેલા ત્રણ શખ્સોએ કારના કાચ ફોડ્યા

તળાજા તાલુકાના બોડકી ગામે રહેતા આધેડના નાના ભાઇ સાથે તળાજાના પાદરી ભમર ગામે રહેતા ત્રણ શખ્સોને વાડીની કેનાલમાં ચાલવા બાબતે અગાઉ ઝઘડો થયેલો હતો. જેને લઇને આધેડે ત્રણેય શખ્સોને કેનાલ પાસે સમાધાન માટે બોલાવ્યા હતા. જ્યાં સમાધાન માટે આવેલા ત્રણેય શખ્સોએ ફરી આધેડના નાનાભાઇ સાથે બોલાચાલી કરી, આધેડની કારના કાચ ફોડી, ગાળો આપી, ઝપાઝપી કરી, જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા. જે મામલે આધેડે ત્રણેય શખ્સો વિરૂદ્ધ દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તળાજાના બોડકી ગામ ભુંગર રોડ પર રહેતા આધેડ મસરીભાઇ રામભાઇ ભાદરકાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના નાનાભાઇ અજુભાઇ ઉર્ફે અરજણભાઇ ભાદરકા સાથે તેમની વાડીએ ચાલવા બાબતે પાદરી ભમર ગામે રહેતા પાતુભાઇએ બોલાચાલી કરી, ઝઘડો કર્યો હતો. જેને લઇને મસરીભાઇએ પાતુભાઇને કેનાલ પાસે સમાધાન માટે બોલાવેલ હતા. જે બાદ મસરીભાઇ અને તેમનો ભાણો બંન્ને તેમની ક્રેટા કાર નં. GJ 03 KP 0638 લઇને કેનાલ પાસે પહોંચ્યા હતા જે દરમિયાન પાદરી ભમર ગામે રહેતા પાતુભાઇ કરણાભાઇ ભુવા, રાજુ મધુભાઇ ભુવા અને મધુ લોમાભાઇ ભુવા લોખંડના પાઇપો સાથે આવ્યા હતા અને ફરી પાતુભાઇએ અજુભાઇ સાથે કેનાલ બાબતે બોલાચાલી કરતા, મસરીભાઇએ બોલાચાલી ન કરવા જણાવતા, ત્રણેય શખ્સોએ લોખંડના હથિયારોથી મસરીભાઇની ક્રેટા કારના કાચ ફોડી, નુકશાન કર્યું હતું. અને મસરીભાઇને ગાળો આપી, જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થતાં ત્રણેય શખ્સો વિરૂદ્ધ દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:00 am

ફરિયાદ:કાર પાર્ક કરવા દંપતિએ બાઇક લેવાનું કહેતા 7 શખ્સોએ ઘરમાં તોડફોડ કરી

ભાવનગર શહેરના રૂવા રોડ ઉપર આવેલ પચ્ચીસ વારીયામાં એક દંપતિએ કાર પાર્ક કરવા માટે સોસાયટીમાં રહેતા એક પડોશીને તેમની બાઇક લેવાનું કહેતા પડોશીમાં રહેતા ચાર મહિલા સહિત સાત શખ્સો હથિયારો સાથે આવી, દંપતિ સાથે બોલાચાલી કરી હતી. અને મોડી રાત્રીના દંપતિના ઘરે જઇ તોડફોડ કરતા દંપતિ ડરના માર્યા ઘરેથી નિકળી ગયા હતા. અને યુવક તેની પત્નિને મુકી બાઇક લઇને જતાં રહેતા મહિલાએ દોઢ વર્ષની પુત્રી સાથે પોલીસની મદદ માંગવા માટે એસ.પી. કચેરી પહોંચી હતી. જે બાદ પોલીસે સાત શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી કરતા તમામ આરોપીઓ ઘર બંધ કરી ફરાર થઇ ગયા હતા. શહેરના રૂવા એરપોર્ડ રોડ ઉપર આવેલા પચ્ચીસ વારીયામાં રહેતા અફસાનાબેન વિરેન્દ્રભાઇ સોલંકીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પતિ અને દોઢ વર્ષની દિકરી સાથે ગતરાત્રે તેમની કાર લઇને મહુવાથી તેમના ઘરે પરત ફર્યા હતા. જે દરમિયાન તેમની કાર પાર્ક કરવાના સ્થળે પડોશમાં રહેતા સીરીનભાઇની બાઇક પાર્ક કરેલ હોય જે બાઇક લઇ લેવા માટે સીરીનભાઇને જણાવ્યું હતું. સીરીનભાઇએ બાઇક હટાવવા મોડા પડતા વિરેન્દ્રભાઇએ તેમનું બાઇક હટાવી કાર પાર્ક કરી હતી. જેની દાઝ રાખી સીરીનભાઇ તેમજ તેમના પરિવારના મહિલા સહિત સાત શખ્સોએ દંપતિ સાથે બોલાચાલી કરી, ઝઘડો કર્યો હતો. જે બાદ વિરેન્દ્રભાઇ ઘરેથી બાઇક લઇને નિકળી ગયા હતા અને અફસાના બેન તેમની દોઢ વર્ષની પુત્રીને લઇને તેમના પડોશી મહિલાના ઘરે ડરના માર્યા સંતાઇ ગયેલા હતા. જે બાદ મોડી રાત્રીના સીરીન કામ્બડ સહિત સાત શખ્સોએ અફસાના બેનના ઘરે હથિયારો સાથે ધસી આવી, અફસાનાબેનના ઘરે તોડફોડ કરી બારણું તોડી નાંખ્યું હતું. જે અફસાના બેનને પણ મારના ડરથી તેઓ તેમની પુત્રીને લઇને મોડી રાત્રે પોલીસની મદદ લેવા માટે એસ.પી. કચેરી પહોંચ્યા હતા જ્યાં પોતાના ભાઇને બોલાવી, પોલીસની મદદ લઇ, ઘોઘારોડ પોલીસ મથકમાં સીરીન કામ્બડ, યશ સીરીનભાઇ કામ્બડ, રીટા સીરીનભાઇ કામ્બડ, યશની પત્નિ, બે અજાણ્યા પુરુષો તેમજ એક અજાણી મહિલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા તમામ આરોપીઓ ફરાર થયા હતા.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:00 am

તંત્ર હરકતમાં:દબાણો સામે મહુવામાં તંત્રનું બુલડોઝર તૈયાર

ગઇકાલે જ સિહોરમાં સિહોર ભાવનગર હાઇવે પર અસંખ્ય ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવીને કરોડો રૂપિયાની સરકારી જમીનને ખુલ્લી કરવાઇ હતી બાદમાં હવે મહુવા નગરપાલિકાએ પણ નગરપાલિકા વિસ્તારમાં લારી ગલ્લા બાકડા,કેબીન સહિતના દબાણો સામે લાલ આંખ કરીને છે અને દબાણકરનારાઓને 7 દિવસમાં સ્વૈચ્છાએ દુર કરવા તાકીદ કરી છે અને જો નહીં હટાવે તો તંત્રનું બુલડોઝર ફરી વળશે તેવી ચિમકી આપી છે. મહુવામાં આવેલ જાહેર રોડ ઉપર લારી ગલ્લા, બાકડા ટેબલ-ખુરશી, કેબીન, મંડપ, ઝુપડા, લાકડા વગેરે મૂકી દબાણ કરેલ આસામીઓને નગરપાલિકા દ્વારા આપેલ નોટીસ મળ્યેથી સાત દિવસમાં આસામીઓએ સ્વેચ્છાએ દબાણ દુર કરવા અન્યથા આસામીઓના ખર્ચે અને જોખમે નગરપાલિકા દ્વારા દબાણ દુર કરવામાં આવશે અને કોઈ માલ-સામાનને નુકશાન થશે તો તેની જવાબદારી આસામીઓની રહેશે તેમ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવેલ છે. મુખ્ય રોડ ઉપર બન્ને બાજુ કેબીન લારીની બબ્બે હરોળ, વાહનોના આડેધડ પાર્કિગના કારણે રોડ સાંકડા થઇ ગયા છે. ફુટપાથનું અસ્તિત્વ જ નથી રહ્યુંમહુવા નગરપાલીકા દ્વારા રોડની બન્ને બાજુ પેવર બ્લોક પાથરી રાહદારી માટે ફુટપાથ બનાવી છે પરંતુ આ ફુટપાથ ઉપરના લારી, કેબીન, મંડપ, બાંકડા, ટેમ્પા, રીક્ષા મુકી વેપાર કરતા લોકો દ્વારા થતા દબાણોએ ફુટપાથનું અસ્તિત્વજ રહેવા દીધુ નથી. શહેરના અન્ય તમામ વિસ્તારોમાં કેબીનો, લારી ગલ્લા અને પાથરણા બિલાડીના ટોપ માફક ફુટી નિકળ્યા છે.ગાંધીબાગ જેવા ભરચક વિસ્તારોમાં સાંઠગાંઠથી ટેમ્પરરી ડોમ ઉભા કરી લાખો રૂપિયાનો વેપાર કરી જતા રહેતા વગવાળા માણસોના કારણે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ પણ ઉદ્દભવે છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:00 am

વીજ ચેકિંગ:ભાવનગર સિટી-2 ડિવિઝનમાંથી રૂા. 39.37 લાખની વીજચોરી પકડાઈ

પી.જી.વી.સી.એલ. કોર્પોરેટ અને સ્થાનિક ટીમોની સતત ત્રીજા દિવસની વીજ ચેકિંગની કાર્યવાહીમાં ઘોઘા અને ચિત્રા, ઘોઘા અને ચિત્રા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી વીજ ચેકિંગની કાર્યવાહીમાં રૂ.39.37 લાખની વીજચોરી ઝડપાઇ હતી. ચિત્રા વિસ્તારને વીજળી પુરી પડતા 11 કે.વી.ના હાદાનગર અર્બન અને મીરાનગર અર્બન ફિડરમાં ગ્રાહકોના વીજ જોડાણની ચકાસણી કરવામાં આવી હતી. ઘોઘા અને મામસા સબ ડિવિઝનમાં આવતા 11 કે.વી.ના લાખણકા જ્યોર્તિગ્રામ, નિષ્કલંક જ્યોર્તિગ્રામ, સોલ્ટ જ્યોર્તિગ્રામ, રાણાધાર જ્યોર્તિગ્રામ, સાણોદર જ્યોર્તિગ્રામ, ઉખરલા જ્યોર્તિગ્રામ તેમજ થળસર ખેતીવાડી ફિડરને નિશાન બનાવાયા. 11 કે.વી. ફિડરો નીચેના અવાણીયા, ભડભડિયા, હાથબ, લાખણકા, થળસર, છાયા, મામસા, સારવદર અને નેસવડ ગામમાં વીજ જોડાણની તપાસ કરાઈ હતી. 590 રહેણાંકી, 59 વાણિજ્ય અને 7 ખેતીવાડી શ્રેણીના કુલ 656 વીજ જોડાણની તપાસ કરવામાં આવી હતી. જેમાં 83 રહેણાંકી, 9 વાણિજ્ય અને 1 ખેતીવાડી શ્રેણીના 93 વીજ જોડાણમાંથી વીજચોરી ઝડપાઈ છે. વીજ લોસ ઘટાડવા ચેકિંગની કાર્યવાહી જારી રહેશે11 કે.વી.ના ઇલેક્ટ્રિક ફિડરોના ડેટા એનાલિસિસના આધારે વીજ ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આગામી સમયમાં હજુ પણ સબ ડિવિઝનોમાં વીજ લોસ ઘટાડવા વીજ ચેકિંગની કાર્યવાહી જારી રહેશે. એસ.એ.ત્રિવેદી એક્ઝિ. એન્જિનિયર, PGVCL ભાવ. સિટી-2 ડિવિઝન નેસવડમાં વીજ ચોરી કરતા વાણિજ્ય યુનિટને 5 લાખનો દંડમામસા સબ ડિવિઝન નીચે આવતા નેડવડમાં ચેકિંગ દરમિયાન ફેબ્રિકેશનના એક યુનિટમાં ડાયરેક્ટ વીજ જોડાણ લીધું હોવાનું માલુમ પડતા આ વાણિજ્ય યુનિટને વીજ ચોરી બદલ રૂ.5 લાખનો દંડ ફટકારાયો હતો.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:00 am

ભાસ્કર ઈનસાઈડ:દાહોદમાં ગોગો પેપર, સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરનો જંગી જથ્થો જપ્ત

દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમાં પાન પાર્લર અને વ્યાપારી એકમો પર એકસાથે દરોડા પાડી પોલીસે પ્રતિબંધિત ગોગો પેપર, સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરનો આશરે રૂા.90,000થી વધુનો જથ્થો જપ્ત કરી 6 શખ્સો સામે ગુના દાખલ કરવામાં આવ્યા હતાં. યુવા અને સગીર વયના બાળકોમાં વધતી નશાની પ્રવૃત્તિ ડામવા ગુજરાત સરકારના ગૃહ વિભાગના આદેશ બાદ દાહોદ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા નશા સહાયક સામગ્રી ગોગો પેપર અને સ્મોકિંગ કોન જેવી સામગ્રી ઉપર પ્રતિબંધ મુકવા સાથે જ દાહોદમાં બસ સ્ટેશન રોડ, શિવાજી સર્કલ, યાદગાર ચોક અને સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં પાન પાર્લર અને ચા સહિતની દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. સૌથી મોટી કાર્યવાહી યાદગાર ચોક પાસેની વિષ્ણુ ટ્રેડર્સમાં કરવામાં આવી હતી. જ્યાંથી રૂા.58,000ની કિંમતના રોલિંગ પેપર અને વિવિધ સ્મોકિંગ કોન મળી કુલ રૂા.78,960નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ ઉપરાંત શિવ પાન પેલેસ, ઝુલેલાલ પાન કોર્નર, મી ચાય સુટ્ટા અને રીફ્રેશ પાન પોઈન્ટ જેવા એકમો પરથી પણ પ્રતિબંધિત નશાસહાયક સામગ્રી પકડાઈ હતી. આ કાર્યવાહીમાં પોલીસે રમેશ રાવલ, ગુલશન ભોજવાણી, ભરત પ્રીતમાણી, અનિશ ભામી, અનિલ પરમાર અને રાજેશભાઇ નામક વેપારી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા–2023ની કલમ 223 મુજબ કાયદેસરની કાર્યવાહી કરતાં ખળભળાટ મચી ગયો હતો. સ્મોકિંગ પેપરમાં કયા કેમિકલનો ઉપયોગ, શું જોખમ‎ગોગો પેપર અને સ્મોકિંગ કોનમાં જોખમી કેમિકલ્સનો ઉમેરો કરાય છે. આ પેપરને સફેદ કરવા માટે વપરાતા ક્લોરિન‎જેવુ બ્લીચિંગ સળગતી વખતે અત્યંત ઝેરી ‘ડાયોક્સિન'' વાયુ પેદા કરે છે. જ્યારે તેને ચોકલેટ, વેનીલા કે ફ્રૂટ જેવી સુગંધ‎‎આપવા અને આકર્ષક બનાવવા ઉમેરાતા કૃત્રિમ ફ્લેવર્સ ફેફસાંમાં ગંભીર‎‎સોજો અને બળતરા પેદા કરી શકે છે. કાગળને ચોંટાડવા માટે ઉપયોગમાં‎લેવાતા ગુંદર સળગતા જ હાનિકારક ધુમાડો ઉત્પન્ન કરે છે. સાથોસાથ કાગળ એકસરખો સળગે તે માટે તેના પર‎પોટેશિયમ નાઈટ્રેટ જેવા કેમિકલ્સનું ખાસ કોટિંગ કરવામાં આવે છે. જે શ્વાસ લેવામાં સીધી તકલીફ ઊભી કરે છે. આ‎તમામ કેમિકલ્સનું મિશ્રણ નશો કરનારના સ્વાસ્થ્ય માટે અત્યંત ઘાતક સાબિત થાય છે.‎ ગોગો પેપર અને સ્મોકિંગ કોનનો શું ઉપયોગગોગો પેપર અને સ્મોકિંગ કોનનો ઉપયોગ મુખ્યત્વે ગાંજો, તમાકુ અથવા અન્ય નશીલા પદાર્થોને વીંટાળીને સિગારેટની જેમ પીવા માટે કરવામાં આવે છે. ગોગો પેપર એક પાતળું કાગળ છે જેમાં નશીલા પદાર્થને હાથેથી રોલ કરવામાં આવે છે. જ્યારે સ્મોકિંગ કોન એ પહેલેથી તૈયાર કરેલો શંકુ આકારનો ખાલી પાઈપ જેવો કાગળ હોય છે. જેમાં સીધો નશીલો પદાર્થ ભરીને તુરંત ઉપયોગમાં લઈ શકાય છે. આ સાધનો નશાકારક દ્રવ્યોના ધુમાડાને ફેફસાં સુધી ખેંચવામાં મદદરૂપ થાય છે. જેના કારણે યુવા પેઢીમાં તે નશો કરવાના એક માધ્યમ તરીકે પ્રચલિત બન્યા છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:00 am

આત્મનિર્ભર:41 બહેનોને બેન્કને લગતી તાલીમ અપાય

ભરૂચ જિલ્લામાં 2 દિવસીય વિત સખી તાલીમની શરૂઆત કરવામાં આવી. જેમાં લીડ બેંક મેનેજર જિલ્લા લાઈવલીહુડ મેનેજ.જિલ્લા એ. પી. અમે એનઆરપી દીક્ષિત હાજર રહી તાલીમ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. આ તાલીમથી વિત સખીના સક્ષમતા વર્ધન કરી આવનાર સમયમાં લઘુ ઉધોગ ધિરાણ માટે અગત્યની ભૂમિકા ભજવશે. તેમજ બેંક અને ઉદ્યોગ સાહસિક વચ્ચે કડી બની ભરૂચ જિલ્લામાં વધુમાં વધુમાં ઉદ્યોગ સહાસિક બને તેવી કામગીરી કરવામાં આવશે. આ તાલીમમાં ભરૂચના વિવિધ તાલુકામાંથી 41 જેટલા સખી મંડળની બહેનો હાજર રહી વિત સખીનું ભૂમિકા અને એન્ટરપ્રાઈઝ ફાઇનાન્સ વિષય ઉપર તાલીમ લેવામાં આવી હતી. આ વીત કે બેન્ક સખી ગ્રામ્ય કક્ષાએ જઈને મંડળની બહેનો કે અન્ય મહિલાઓને પોતાનો ઉદ્યોગ માટે કે અન્ય કારણ માટે બેંક માંથી લોન સહિત બેંકને લગતી કોઈ પણ યોજના અને વીમા સહિતની માહિતી માટે બેંક સખી કામગીરી કરશે. આ બેન્ક સખીને ટાઈફંડ તરીકે રૂપિયા 3 હજાર પણ આપવામાં આવશે. આમ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:00 am

કાર્યવાહી:સાયબર ફ્રોડ કેસ, કલ્યાણગીરી શનિવાર સુધી રિમાન્ડ પર

ભવનાથ ખાતેના અવધૂત આશ્રમની ગૌશાળાના કર્તાહર્તા કલ્યાણગીરીના 3 બેંક ખાતા પર સાયબર ફ્રોડની 8 ફરિયાદના 40.76 લાખ જમા થયા હતા અને તેમણે બધા પૈસા ઉપાડી લીધાં હોવાનું તપાસમાં ખુલતા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પોલીસે સાધુની ધરપકડ કરી હતી. તપાસનીશ તાલુકા પીઆઇ એફ. બી. ગગનીયાએ તપાસના 8 મુદે કલ્યાણગીરીને 7 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. પરંતુ અદાલતે તા. 20 ડિસેમ્બર સુધી 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સાધુના રિમાન્ડ મળતાંની સાથે પોતાના તથા ગૌશાળાના બેંક ખાતામાં લોકોના સાયબર ફ્રોડના જમા થયેલા 40.76 લાખ ઉપાડી ક્યાં સગેવગે કર્યા, સાથે કોની કોની સંડોવણી હતી, કેટલું કમિશન મેળવી બેંક એકાઉન્ટ ભાડે કોને ભાડે આપ્યું સહિતના 8 મુદે કલ્યાણગીરીની પૂછપરછ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:00 am

ફરિયાદ:મેમકા ઝાપોદર રોડ પર ખનીજ ટીમની ગાડીના દરવાજા સાથે ભૂમાફિયાએ ડમ્પર ભટકાડ્યું

સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગની ટીમ ગેરકાયદે ખનીજ વહન થતુ અટકાવવા ફરજ બજાવવા ગઇ હતી. ત્યારે ડમ્પરમા ગેરકાયદે બ્લેક ટ્રેપ ખનીજ વહન કરી નિકળતા ટીમે ડમ્પરના ચાલકને હાથથી ઈસારો કરી ઉભુ રખાવવા પ્રયત્ન કરતા ઉભુ રાખ્યું ન હતું. આથી મેમકા ઝાપોદર રોડ પર આ ડમ્પરનો પીછો કરતા ડમ્પર ચાલક પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી રોડ ઉપર કાવા મારી ખનીજની ટીમને ઓવરટેક કરવા નહી દઈ ફરજમાં અડચણ રૂપ કર્યુ હતુ. સફેદ કલરની સ્વિફ્ટ ગાડીના બે લોકો ખનીજની ગાડીને ઓવરટેક કરી સ્વિફ્ટ ગાડી ધીમે ચલાવી બ્રેકો મારી શખસોએ આગળ જતા ડમ્પરનો ઓવરટેક કરવા દીધો ન હતો. આ ઉપરાંત ખનીજ ટીમની ગાડીની ખાલી સાઈડના દરવાજા સાથે ભટકાડી નુકશાન કર્યું હતું. વઢવાણ પોલીસ મથકે ડમ્પરનો ચાલક, સ્વીફટ ગાડનો ચાલક અને તેમાં બેસલા વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. ડમ્પર ચડાવી દઈ મારી નાખવાની ધમકી આપી‎સ્વિફ્ટમાંથી 2 શખસે અમારા ડમ્પરનો પીછો કરવો નહીં, નહી તો ડમ્પર માથે ચડાવી દઈ મારી નાખવાની ધમકી આપી હતી. સિક્યુરીટી ગાર્ડ ગુલાબભાઈ સાથે ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ કરી હતી. 1 ડમ્પરમાંથી બ્લેક ટ્રેપ ખનીજ રોડ ઉપર ખાલી કરી 1 શખસ ડમ્પર લઈ નાશી ગયો હતો. > હિરેનકુમાર પી.સંડેરા, રોયલ્ટી ઇન્સ્પેકટર, ખાણ ખનિજ વિભાગ

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:00 am

ભાસ્કર નોલેજ:સિવિલમાં 76 વર્ષીય ફ્રેક્ચર થયેલા વૃદ્ધને સ્ટાફે રસ્તા પર રઝળતા મૂક્યા

પંચમહાલ જિલ્લાની મુખ્ય ગણાતી ગોધરા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફની વધુ એકવાર સંવેદનહીનતા સામે આવી છે. શહેરા તાલુકાના ઘરોલાખુર્દ ગામના 76 વર્ષીય વૃદ્ધ દર્દીને ડિસ્ચાર્જ આપ્યા બાદ, હોસ્પિટલના સ્ટાફે તેમને વ્હીલચેર પરથી ઉતારી મુખ્ય પ્રવેશદ્વાર પાસે રસ્તા પર રઝળતા મૂકી દેતા ચકચાર મચી ગઈ છે. શહેરાના ઘરોલાખુર્દ ગામના વતની ચૌહાણ મોહનસિંહ અમરસિંહનો ડાબો હાથ ફ્રેક્ચર થયો હોવાથી તેમને સારવાર માટે ગોધરા સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર પૂર્ણ થતા તબીબોએ તેમને રજા (ડિસ્ચાર્જ) આપી હતી. વૃદ્ધ હોવાથી તેઓ ચાલી શકે તેમ નહોતા. આથી તેમનો પુત્ર તેઓને લેવા માટે રિક્ષાની વ્યવસ્થા કરવા તૈયારી કરી રહ્યો હતો. આ દરમિયાન સિવિલના સ્ટાફે ઉતાવળ કરી વૃદ્ધને વ્હીલચેર પર બેસાડી હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે લાવ્યા હતા. રિક્ષા હજુ આવી ન હોવા છતાં, સ્ટાફે માનવતા નેવે મૂકી વૃદ્ધને રસ્તા પર જ વ્હીલચેર પરથી ઉતારી દીધા હતા. હાથમાં પાટો અને શરીરે અશક્ત એવા 76 વર્ષીય મોહનસિંહ કલાકો સુધી જમીન પર એક પોટલાના સહારે બેસી રહેવા મજબૂર બન્યા હતા. ગોધરા સિવિલ હોસ્પિટલ માં બનેલી આ ઘટનામાં પ્રોટોકોલનો સ્પષ્ટ ભંગ થયો છે. દર્દીને વ્હીલચેર પરથી ઉતારીને રસ્તા પર મૂકી દેવા એ માત્ર બેદરકારી નહીં પણ અપમાનજનક કૃત્ય છે. મારા પિતાને રસ્તે રઝળતા કરી દીધામારા પિતાને હાથે ફ્રેક્ચર હોવાથી ઓપરેશન કરવામાં આવેલ હતું. તેઓ વૃદ્ધ હોય સર્જરી / ફ્રેક્ચરને કારણે અશક્ત હતા છતાં વહીલચેર પરથી ઉતારી મુકવામાં આવેલ હતા. જે તે સમયે મારી માતા પણ સાથે હતા. હું ઘેર જવા માટે બહાર રીક્ષા લેવા માટે જતો હતો. તે દરમ્યાન મારા પિતાને નીચે ઉતારી મુકવામાં આવેલ હતા. - ચૌહાણ દલપતસિંહ, દર્દીના પુત્ર હોસ્પિટલની શું જવાબદારી હોય{ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીની સુરક્ષા અને ગરિમા જાળવવા માટે ચોક્કસ પ્રોટોકોલ હોય છે { નિયમ મુજબ, જ્યાં સુધી દર્દી પોતાના વાહનમાં સુરક્ષિત રીતે બેસી ન જાય ત્યાં સુધી હોસ્પિટલના સ્ટાફે (વોર્ડ બોય અથવા એટેન્ડન્ટ) તેને વ્હીલચેર પર જ રાખવો જોઈએ. { સુરક્ષિત હેન્ડઓવર : હોસ્પિટલના મુખ્ય દ્વાર સુધી નહીં, પણ દર્દીના વાહન સુધી વ્હીલચેર લઈ જવાની જવાબદારી હોસ્પિટલ તંત્રની છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:00 am

બેઠક:બોટાદ કલેકટર કચેરી ખાતે ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠક યોજાઈ

બોટાદ કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોયના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટરે જિલ્લામાં સર્વેની કામગીરી હાથ ધરી જરૂર જણાય ત્યાં સ્પીડ બ્રેકર મુકાવવા, યોગ્ય સાઇનેજીસ લગાવવા, વાહનોમાં રેડિયમ ઈન્ફ્લેક્ટર લગાવવાની કામગીરી વધુ સઘન કરવા, ઓવર સ્પીડીંગ કરતા વાહન ચાલકો સામે કાયદાકીય પગલા ભરવા, લાયસન્સ ન ધરાવતા વાહનચાલકો સામે પગલા લેવા, હેલ્મેટ ન પહેરનારા તથા સીટ બેલ્ટ ન બાંધ્યા હોય તેવા તમામ વાહનચાલકો સામે તુરંત દંડની કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી હતી. આ બેઠકમાં કલેક્ટરએ જણાવ્યું હતું કે,“રેડિયમ ઈન્ફ્લેક્ટર લગાવવાની કામગીરી જો વધુ સઘન કરવામાં આવશે તો ખાસ કરીને રાત્રે થતાં અકસ્માતોની સંખ્યા ઘટાડી શકાશે. વાહન ચલાવતી વખતે ફોન પર વાત કરતાં વાહનચાલકોએ પણ સાવધાન થઈ જવાની જરૂર છે. તેમની સામે પણ આકરા પગલા લેવાશે. બેઠકમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ચાવડાએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ગત માસે યોજાયેલી મીટીંગની સમીક્ષા કરી હતી. સમગ્ર જિલ્લામાં રોડ સેફ્ટી મહિનાની ઉજવણી થઈ રહી છે, જે અંતર્ગત યોજાયેલા વિવિધ કાર્યક્રમો તેમજ આગામી આયોજનો વિશે માહિતી આપી હતી. આ બેઠકમાં પોલીસવડા ધર્મેન્દ્ર શર્મા, પ્રાંત અધિકારી બોટાદ આરતી ગોસ્વામી, પ્રાંત અધિકારી બરવાળા ચૌધરી, નાયબ કાર્યપાલક ઈજનેર સ્ટેટ-પંચાયત તથા સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:00 am

ભાસ્કર એક્સક્લુઝિવ:મહાશિવરાત્રિનો મહામેળો : કુંભની જેમ રાષ્ટ્રીય આયોજન થશે, રવેડીને અપાશે ગાર્ડ ઓફ ઓનર

શિવરાત્રિના મેળો જૂનાગઢમાં થાય છે પણ તેમાં ભાગ લેવામાં માત્ર ગુજરાત જ નહિ પણ દેશ-વિદેશથી ભાવિકો આવે છે. તેમાં પણ સાધુ-સંતોની નીકળતી રવેડી સૌથી મોટું આકર્ષણ છે. તેવામાં આ વખતે શિવરાત્રિના મેળા માટે રાજ્ય સરકાર, જૂનાગઢ વહીવટી તંત્ર અને સાધુ-સંતોએ આયોજનને કુંભમેળાની જેમ રાષ્ટ્ર સ્તરીય આયોજન કરવાનો નિર્ધાર કર્યો છે. આ આયોજન માટે ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં શ્રીપંચદશનામ જૂના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને જૂનાગઢ ગિરનાર મંડળના પ્રમુખ ઈન્દ્રભારતીબાપુએ મેળાને મહાશિવરાત્રિનો મહામેળો નામ આપીને 35 મુદ્દા સૂચવ્યા છે જેમાં રવેડીને ગાર્ડ ઓફ ઓનરનો પણ ઉલ્લેખ કર્યો છે. આ મુદ્દાઓ પર કામ કરવા માટે પ્રવાસન સચિવને નાયબ મુખ્યમંત્રીએ જવાબદારી સોંપી છે. ટૂંક સમયમાં જ અલગ અલગ એજન્સીઓ જૂનાગઢમાં સરવે કરશે અને 15 દિવસ બાદ હર્ષ સંઘવી પણ જૂનાગઢ આવીને બેઠક કરશે. શિવરાત્રિના આયોજન માટે ગાંધીનગર હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. જેમાં જૂનાગઢના કલેક્ટર અનિલ રાણાવસિયા, નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અને સાધુ-સંતો પહોંચ્યા હતા. સચિવ રાજેન્દ્રકુમાર અને આલોક પાંડે પણ હાજર હતા. ઈન્દ્રભારતીબાપુ નાદુરસ્ત તબિયતને કારણે જઈ શક્યા ન હતા પણ તેઓએ પોતાના 35 મુદ્દા જિલ્લા વહીવટી તંત્રની ટીમ મારફત પહોંચાડ્યા હતા જ્યાં પ્રેઝેન્ટેશન થયું હતું. સૌથી મહત્ત્વનો મુદ્દો એ હતો કે, મેળાને મહાશિવરાત્રિનો મહામેળો નામ આપીને કુંભમેળાની જેમ રાષ્ટ્રીય સ્તરનું આયોજન કરવું જોઈએ. ખાસ કરીને રવેડી શરૂ થાય તે પહેલાં ત્રણેય અખાડા અને દેવી-દેવતાઓને માન સન્માન આપવા માટે ગાર્ડ ઓફ ઓનર આપવાની નવી પ્રથા શરૂ કરવી જોઇએ. મજેવડી દરવાજાથી કાળવા ચોક અને સમગ્ર ગિરનાર ક્ષેત્રને મેળાક્ષેત્ર જાહેર કરવું જોઇએ. આ બધા સ્થાનોએ મોટી સ્ક્રીન મૂકીને રવેડીનું લાઈવ પ્રસારણ તેમજ ધાર્મિક કાર્યક્રમો બતાવવા જોઇએ. ભવનાથ મહાદેવ મંદિર કે જેમાં હાલ વહીવટદાર નિમાયા છે ત્યાં પાંચ દિવસ સુધી કામચલાઉ મહંતની નિમણૂક કરવી જેથી બધી ધાર્મિક પરંપરાઓ જળવાઈ રહે. લોકો રવેડીનો આનંદ માણી શકે તે માટે રવેડીનો રૂટ વધારીને દામોદર કુંડ સુધી લઈ જવા માટે ખાસ સૂચન કરાયું છે. આ સહિતના મુદ્દાઓ પર વિચાર શરૂ થયો છે અને તેના સરવે માટે અલગ અલગ એજન્સીઓ જૂનાગઢ આવશે અને ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી પણ જૂનાગઢ આવીને આ મેળાના આયોજન માટે બેઠક બોલાવવાના છે. વહીવટ માટેનો ખર્ચ કલેક્ટર હસ્તકે, મેળા અધિકારીની નિમણૂક કરવીમહામેળાના આયોજન માટે સરકાર તરફથી જે પણ ખર્ચ કરવામાં આવે તે કલેક્ટરને હસ્તક હોવું જોઈએ. કલેક્ટર આ માટે સમિતિની રચના કરે જેમાં સાધુ-સંતો, પ્રજાના પ્રતિનિધિઓ હોય. મેળાનો ખર્ચ જે થાય તે બિલ કમિટીમાં મુકાય અને સર્વાનુમતે ખર્ચ મંજૂર થાય તો જ ચૂકવણું કરવામાં આવે. મેળાના આયોજન માટે ખાસ મેળા અધિકારીની નિમણૂક કરવામાં આવે તે પણ સૂચન કરાયું છે. વિદેશથી સેલિબ્રિટીઓને બોલાવી સનાતન સંસ્કૃતિના દર્શન કરાવાશેઆ મુદ્દાઓ પર સરકાર કામ કરશે પણ ભારતીય સનાતન સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે વિદેશથી વિવિધ સેલિબ્રિટીઓને આમંત્રણ આપવામાં આવશે. તે તમામને શિવરાત્રિ શું છે, રવેડી શું છે, તેના મેળાનું મહત્ત્વ સમજાવવામાં આવશે. વનવિભાગ પાસેથી 150 એકરની જગ્યા કામચલાઉ ધોરણે મેળવવીકુંભમેળાના આયોજન દરમિયાન વનવિભાગ પાસેથી જમીન મેળવીને ત્યાં આયોજન કરાયું હતું. તેવી જ રીતે મહામેળા માટે જૂનાગઢ વનવિભાગ પાસેથી 150 એકરની જગ્યા કામચલાઉ ધોરણે મેળવીને ત્યાં અખાડાઓ માટે ઉતારા સહિતની વ્યવસ્થા કરવી અને મેળો પૂર્ણ થાય એટલે સફાઈ કરીને ફરી વનવિભાગને હવાલે કરી દેવા સૂચન કરાયું છે. મહાશિવરાત્રિના મહામેળા માટે આ મુદ્દાઓ પર પણ થશે આયોજનઉતારા મંડળો પાસેથી લાઈટ, પાણી, સફાઈ અંગેનો ખર્ચ કે ચાર્જ વસૂલવો નહિ, દરેક ઉતારે શૌચાલય બનાવવા અને સફાઈ રાખવી, જનતા પરેશાન ન થાય તેવી રીતે સાધુ-સંતોને ધુણા માટે 10 બાય 10ના ગાળાની જગ્યા આપવી, મેળાના શરૂઆતના બે દિવસમાં પાસવાળા વાહનોને પ્રવેશ આપવો છેલ્લા દિવસે વીવીઆઈપી કે કોઇપણને પ્રવેશ ન આપવો, મેળાના વાતાવરણને કોઇ અસામાજિક તત્ત્વો બગાડવાનો પ્રયાસ કરે તો તાત્કાલિક ધરપકડ કરવી, દામોદર કુંડમાં સતત પાણી વહેતું રહે તેવી વ્યવસ્થા કરવી અને મૃગીકુંડની સફાઇ કરવી, રવેડીના રૂટ દરમિયાન અમુક સ્થળોએ પુષ્પવર્ષા કરવી, કુંભમેળાની જેમ ભૂલ્યા ભટક્યા ક્ષેત્રના સ્ટોલ રાખવા, ઉતારા મંડળો સહિતનાઓને જીવન જરૂરી ચીજવસ્તુ લાવવા માટે રાત્રિના બેથી ચાર વાગ્યા સુધીનો સમય માટે વાહનોના અલગથી પાસ આપી પ્રવેશ આપવો. ખાસ કરીને ધાર્મિક લાગણી દુભાય તેવા ઈન્ટરવ્યૂ, જાહેરાતો કે સોશિયલ મીડિયામાં કોઇ પોસ્ટ વાઇરલ થતી અટકાવીને ધાર્મિક સોહાર્દ જાળવવું.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:00 am

સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી:ગેલેક્સી ગ્રૂપના5 સભ્યને રૂ.4.46 કરોડ ભરવા આદેશ

રાજકોટ સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન તંત્ર રાજકોટ શહેર દ્વારા ભાગીદારી પેઢીમાં કરોડોની મિલકત સાથે ભાગીદારને દાખલ કરી બાદમાં આ મિલકત ભાગીદાર પેઢીમાં આવી ગયા બાદ મિલકત લાવનાર આસામી ભાગીદારી પેઢીમાંથી છૂટા થઇ જતા આ કિસ્સામાં શહેરના જાણીતા ગેલેક્સી ગ્રૂપના છ ભાગીદારને ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટી વસૂલાત માટે રૂ.3.71 કરોડથી વધુના દંડ સહિત રૂ.4.46 કરોડ ભરવા આદેશ કરવામાં આવ્યો છે. રાજકોટની મેસર્સ ખેડૂત નામની ભાગીદારી પેઢીમાં તા.20-03-2012માં રવજીભાઈ ભાણજીભાઇ ભાડજા વર્ષ 2010માં દસ્તાવેજ અનુક્રમ નંબર 7073થી ખરીદેલી મિલકત લઈ ભાગીદારી પેઢીમાં જોડાય છે. જેમાં ભાગીદારી લેખમાં મિલકતની બજાર કિંમત રૂ.15,30,97,383 નક્કી કરવામાં આવે છે. જોકે, ભાગીદારી પેઢીમાં જોડાયેલ રવજીભાઈ ભાણજીભાઇ ભાડજાને ભાગીદારી ડીડમાં હકીકતમાં રૂ.75,01,773 વાપરવી પડે, પરંતુ ભાગીદારી પેઢીમાં 10 હજાર રૂપિયા જ સ્ટેમ્પ ડ્યૂટી વાપરવામાં આવી હતી અને ભાગીદારી પેઢીમાં મિલકત સાથે જોડાયેલા ભાગીદાર રવજીભાઈ ભાણજીભાઇ ભાડજા બાદમાં ભાગીદારી પેઢીમાંથી નીકળી ગયા હતા. આ પ્રકરણ સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન તંત્રના ધ્યાને આવતા ભાગીદારી પેઢીમાં મિલકત સાથે આવેલ ભાગીદાર મિલકત પેઢીને આપી નીકળી ગયા હોય સ્ટેમ્પ ડ્યૂટી રાજકોટ શહેર કચેરી દ્વારા મેસર્સ ખેડૂત પેઢીના ભાગીદાર એવા રવજીભાઈ ભાણજીભાઇ ભાડજા, રાજેશભાઈ ગોવિંદભાઇ પટેલ, કિરણભાઈ વાલજીભાઇ ભાલોડિયા, રશ્મિકાંતભાઈ વાલજીભાઇ ભાલોડિયા, રજનીકાંત મોહનલાલ ભાલોડિયા અને નવીનચંદ્ર મોહનલાલ પટેલને મેસર્સ ખેડૂત નામની ભાગીદારી પેઢીના તમામ ભાગીદારોને ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટી તેમજ વિવિધ કલમનાં દંડ સહિત કુલ રૂપિયા 4,46,22,601 રૂપિયા ભરવા હુકમ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:00 am

ભાસ્કર એક્સપોઝ:શહેરના બ્યુટીફિકેશનના નામે સર્કલ પર એજન્સીઓનો જાહેરાતનો ધીકતો ધંધો, મહાપાલિકાના આંખ આડા કાન

શહેરના બ્યુટીફિકેશન માટે રાજકોટ મહાનગરપાલિકાએ પીપીપી યોજના હેઠળ 62માંથી 31 સર્કલ પાંચ વર્ષ માટે ખાનગી એજન્સીને સોંપ્યા છે અને બાકીના 11 સર્કલ એજન્સીને પીપીપી યોજનાથી આપવા માટે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે જાહેર સ્થળોની સુંદરતા વધારવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ હકીકતમાં આ યોજના આજે શહેરના સર્કલને ખાનગી કમાણીના કેન્દ્રમાં ફેરવી ચૂકી છે અને સર્કલ પીપીપી યોજનાથી પાંચ વર્ષ માટે ભાડે રાખનાર એજન્સીઓ અન્ય પેઢીઓ અને કંપનીઓને તેમની જાહેરાત માટે બેનરો અને બોર્ડ મૂકવા દઇ દર મહિને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાંઆવી છે. રાજકોટ મહાનગરપાલિકાના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર શહેરમાં કુલ 62 જેટલા સર્કલ મુખ્ય માર્ગો પર આવેલા છે અને ત્યાંથી દરરોજ હજારો વાહનો પસાર થતા હોય આ સર્કલ પાછળ થતો ખર્ચ અટકાવવા માટે મનપા દ્વારા પીપીપી યોજના જાહેર કરવામાં આવી હતી અને તેમાં સર્કલ પીપીપી યોજનાથી ભાડે રાખનાર એજન્સી તેમાં પોતાના બે બોર્ડ મૂકી શકશે અને બે બોર્ડ મહાનગરપાલિકાની વિવિધ જાહેરાતના મૂકવાના રહેશે તેવી શરતો નક્કી કરવામાં આવી હતી, પરંતુ અમુક એજન્સીઓએ પોતાની લાગવગના જોરે માઝા મૂકી છે અને સર્કલ પર પાંચથી સાત બોર્ડ મૂકી જાહેરાતની ધીકતી કમાણી શરૂ કરી દીધાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. સર્કલ સંભાળવાની જવાબદારી મેળવનાર એજન્સીએ હરિયાળી, શણગાર અને જાળવણી કરતાં વધુ ભાર વ્યાપારિક ઉપયોગ પર મૂક્યો છે. પરિણામે સર્કલ બ્યુટીફિકેશનનું મોડેલ નહીં, પરંતુ ધંધાનો અડ્ડો બની ગયો છે. જાહેરાતના બોર્ડ મામલે તો નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. મનપાના નિયમ મુજબ શહેરના મહત્ત્વના સર્કલમાં વધુમાં વધુ બે જાહેરાત બોર્ડની જ મંજૂરી છે, છતાં અનેક સર્કલ પર પાંચથી સાત બોર્ડ લગાવવામાં આવ્યા છે. આ બોર્ડ ભાડે આપી એજન્સી લાખોની આવક ઊભી કરી રહી છે, જ્યારે શહેરની સુંદરતા અને ટ્રાફિક વ્યવસ્થાની બલિ ચઢી રહી છે. આ સમગ્ર ગેરવહીવટ સામે મનપાની ભૂમિકા પણ ગંભીર પ્રશ્નોના ઘેરામાં છે. સર્કલ બનાવવાનો અને જાળવણીનો ખર્ચ ખાનગી એજન્સી ઉઠાવતી હોવાથી મનપા ખર્ચ બચાવી રહી છે. સાથે સાથે જાહેરાતથી થતી આવકના કારણે મનપા જાણે મૌન સંમતિ આપી રહી હોય તેમ નિયમોના ભંગ સામે કોઈ કડક કાર્યવાહી કરતી નથી. નિયમો માત્ર કાગળ પર જ રહી ગયા છે.બ્યુટીફિકેશનનો હેતુ શહેરની ઓળખ, નાગરિકોને ખુલ્લી જગ્યા અને સુવ્યવસ્થિત ટ્રાફિક આપવાનો હતો, પરંતુ હાલની સ્થિતિમાં વધતા બોર્ડ, વેપલો અને અસ્થાયી બાંધકામ શહેરની સુંદરતા બગાડી રહ્યા છે અને જાહેર સ્થળોની પવિત્રતા ખોવાઇ રહી છે. પીપીપી યોજના હવે જાહેર હિત કરતાં ખાનગી નફાને પ્રાથમિકતા આપતી વ્યવસ્થા બની ગઈ છે. શહેરના સર્કલ જાહેર સંપત્તિ છે, કોઈ એજન્સીની ખાનગી મિલકત નથી. નિયમોના ભંગ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરી સર્કલને તેના મૂળ હેતુ માટે પાછા લાવવાની જવાબદારી મનપાની છે. નહીંતર બ્યુટીફિકેશનના નામે શહેરની સંપત્તિ વેચાઈ જવાની જવાબદારી પણ મનપાને જ વહન કરવી પડશે. હાલમાં સર્કલના ભાડાની વાર્ષિક રૂ.40 લાખની આવકમહાપાલિકા દ્વારા 62માંથી 31 સર્કલ ભાડે આપી દીધા છે અને બાકીના 11 સર્કલ પીપીપી યોજનાથી ભાડે આપવા કવાયત ચાલી રહી છે ત્યારે આ સર્કલ વિસ્તાર મુજબ રૂ.50 હજારથી રૂ.4.50 લાખ પ્રતિ વર્ષના ભાડાથી આપવામાં આવ્યા હોય મહાનગરપાલિકાને 31 સર્કલમાંથી હાલ વાર્ષિક અંદાજે રૂ.40 લાખની આવક થઇ રહી છે. સર્કલ બનાવવાનો અને નિભાવણીનો ખર્ચ બચતો હોય અને વધારાની આવક થતી હોય મહાપાલિકાના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 4:00 am

અમદાવાદમાં સિંધુભવન રોડ પર બિલ્ડરના ઘરમાં ઘૂસી છરીની અણીએ લૂંટ:પટેલ હાઉસમાં 4 લૂંટારૂઓએ બિલ્ડરને છરીના ઘા મારી મૂઢમાર માર્યો, વેપારીને લૂંટ મામલે ઘરઘાટી પર શંકા

અમદાવાદ શહેરના પોશ વિસ્તાર એવા સિંધુભવન રોડ પર રહેતા બિલ્ડર અને તેમનો પરિવાર બંગલામાં રાતે સૂઈ રહ્યા હતા, ત્યારે તેમના ઘરમાં ચાર બુકાનીધારી લૂંટારુઓ ઘૂસી ગયા હતા. લૂંટારુઓએ બિલ્ડરના ગળે છરી મૂકીને ધમકાવીને લૂંટ ચલાવ્યા બાદ મૂઢ માર માર્યો હતો અને જતી વખતે પોલીસને જાણ ન કરવાની ધમકી પણ આપી હતી. આ મામલે બિલ્ડરે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. એક શખસે છાતી પર બેસીને ગળા પર છરી મૂકી દીધીસિંધુભવન રોડ પર આવેલા પટેલ હાઉસમાં રહેતા નરેશ પટેલ સ્ટેલા બિલ્ડિંગમાં શ્રી અષ્ટ લક્ષ્મી નામની કન્સ્ટ્રક્શન કંપની ધરાવે છે. ગત મોડી રાતે તેમના પત્ની અને દીકરો ઉપરના રૂમ સૂઈ રહ્યા હતા. જ્યારે તેઓ નીચે સૂઈ રહ્યા હતા. રાત્રે 2 વાગ્યા આસપાસ તેઓ સુતા હતા, ત્યારે શરીરને સ્પર્શ થતાં જાગી ગયા હતા. નરેશ પટેલે જોયું તો ચારેક જેટલા બુકાનીધારી શખસો તેમની પાસે ઊભા હતા. ચાર પૈકી એક શખસ તેમની છાતી પર બેસીને ગળા પર છરી મૂકી દીધી હતી. ત્રણ ઘા મારીને કબાટમાં પડેલા એક લાખ લૂંટી લીધાજ્યારે અન્ય બે લોકોએ હાથ પગ પકડી રાખ્યા હતા. ચોથાએ મોઢું દબાવીને અવાજ કરોગે તો ગલા કાટ દેંગે તેમ કહીને તેમને ડરાવ્યા હતા. લૂંટારુઓએ નાણાં અને દાગીના માગતા નરેશ પટેલે હાલ કંઇ ન હોવાનું કહેતા તેમને છરો બતાવીને ડરાવ્યા હતા. બાદમાં લૂંટારુઓએ ત્રણ ઘા મારીને કબાટમાં પડેલા એક લાખ લૂંટી લીધા હતા. જે બાદ લૂંટારુઓ બંગલોના બેઝમેન્ટમાં આવેલા હોમ થિયેટરમાં તેમને લઇ ગયા હતા. જ્યાં નરેશભાઇના ફીંગરપ્રિન્ટથી લોક ન ખૂલતા ચારેય ભેગા મળીને મૂઢમાર માર્યો હતો. લૂંટારૂઓ નરેશ પટેલને જાનથી મારી નાખવાની ધમકી આપીલુંટારૂઓએ દરવાજો ન ખુલતા દરવાજો તોડી નાખ્યો હતો. નરેશભાઇએ બીજા દિવસે નાણાં ટ્રાન્સફર કરવાનું કહેતા લૂંટારૂઓએ કાલે પડીકામાં રૂપિયા મૂકીને ઘરની પાછળ ફેંકી દેજે અમે લઇ જઇશું તેમ કહીને નાસી ગયા હતા. લૂંટારુઓએ જતા જતા પોલીસ કેસ કરોગે તો વાપીસ આકે તુમ કો ઔર પરિવાર કો માર દેંગે. ઔર પકડે ગયે તો જેલ સે છૂટકે આકે તુમ્હે છોડેંગે નહીં તેવી ધમકી આપીને પંદરા મિનિટ તક હિલે તો આકે માર દેંગે તેવી ધમકી આપીને નાસી ગયા હતા. વેપારીને લૂંટ મામલે ઘરઘાટી પર શંકાથોડી વાર સુધી નરેશભાઈ બેસી રહ્યા હતા જે બાદ ઉપરના રૂમમાં જઈને પત્ની અને દીકરાને જગાડીને આ અંગે જાણ કરી હતી. નરેશ પટેલે આ અંગે પોલીસને પણ જાણ કરી હતી. આ મામલે સરખેજ પોલીસે 1.25 લાખની લૂંટ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નરેશ પટેલે લૂંટ મામલે તેમના ઘરમાં કામ કરતા ઘરઘાટી રાહુલ પર પણ શંકા વ્યક્ત કરી છે જેની પોલીસ તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 12:05 am

ગાંધીનગર સાયબર સેલનો 'મ્યુલ એકાઉન્ટ' પર સપાટો:વધુ બે ગુનામાં લવારપુર, વાવોલ અને સેક્ટર-3ના યુવાનો સામે ફરિયાદ, દેશભરમાંથી મળેલી ફરિયાદોના આધારે પોલીસની લાલ આંખ

સમગ્ર રાજ્યમાં સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવા માટે વપરાતા ‘મ્યુલ એકાઉન્ટ’ વિરુદ્ધ ગાંધીનગર સાયબર ક્રાઇમ સેલે અભિયાન તેજ કર્યું છે. નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર મળેલા ડેટાના આધારે પોલીસે વધુ બે ગુના દાખલ કરી લવારપુર, વાવોલ અને સેક્ટર-3 ના યુવાનો સહિત ચાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાં શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, વાવોલ ગામના કુબેરનગરમાં રહેતા કેવલ નાગજીભાઈ દેસાઈના સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાં શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા હતા. તપાસમાં ખુલ્યું હતું કે, કેવલે કમિશનની લાલચમાં પોતાનું ખાતું તેના મિત્ર આર્ય નાગજીભાઈ દેસાઈ (રહે. સેક્ટર-3/બી) અને વલસાડના પ્રગ્નેશ વ્યાસને વાપરવા આપ્યું હતું. આ ટોળકીએ ઓનલાઇન છેતરપિંડીના આશરે 96 હજાર રૂપિયા આ ખાતામાં જમા કરાવી રોકડા ઉપાડી લીધા હતા. આ એકાઉન્ટ વિરુદ્ધ દેશભરમાંથી 5 ફરિયાદો નોંધાયેલી છે. એજ રીતે લવારપુરના યુવાનના ખાતામાં 7.86 લાખના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળ્યા હતા. ગઈકાલે પણ પેથાપુર અને ઇન્ફોસિટી પોલીસ મથકમાં મ્યુલ એકાઉન્ટ અંગેના ગુના દાખલ કર્યાગાંધીનગરના સેક્ટર-3 માં આવેલી યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાં મોટાપાયે શંકાસ્પદ વ્યવહારોની તપાસ કરતા તે ખાતું લવારપુર ગામના મૌલિક દશરથભાઈ પ્રજાપતિનું હોવાનું બહાર આવ્યું હતું. મૌલિકે પોતાના મળતિયાઓ સાથે મળીને સાયબર ફ્રોડના આશરે 7 લાખ 86 હજાર પોતાના ખાતામાં મેળવી રોકડમાં સગેવગે કર્યા હતા. આ એકાઉન્ટ વિરુદ્ધ પોર્ટલ પર કુલ 8 ફરિયાદો નોંધાઈ છે.ગાંધીનગર પોલીસે ગઈકાલે પણ પેથાપુર અને ઇન્ફોસિટી પોલીસ મથકમાં મ્યુલ એકાઉન્ટ અંગેના ગુના દાખલ કર્યા હતા. ઇન્ફોસિટી અને પેથાપુરમાં પણ ટેક્નિકલ સર્વેલન્સના આધારે એવા શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી જેઓ સાયબર માફિયાઓને કમિશન પેટે બેંક ખાતા અને કિટ્સ પૂરી પાડતા હતા. ગાંધીનગર સાયબર ક્રાઇમ સેલ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, કમિશનની લાલચમાં કોઈને પણ પોતાનું બેંક ખાતું વાપરવા આપવું એ ગુનો બને છે. આવનારા દિવસોમાં આવા અનેક મ્યુલ એકાઉન્ટ ધારકો વિરુદ્ધ વધુ ગુના દાખલ થવાની પૂરેપૂરી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 11:02 pm

ભાવનગરમાં યુવક પર છરીથી હુમલો:શિવાજી સર્કલ પાસે નશામાં ધૂત શખ્સે બેને ઘાયલ કર્યા

ભાવનગર શહેરના શિવાજી સર્કલ વિસ્તારમાં એક યુવક પર છરી વડે હુમલો થયો હતો. નશાની હાલતમાં આવેલા આકાશ ઉર્ફે ઘોડો નામના ઈસમે મહેશભાઈ પરસોત્તમભાઈ કંટારીયા અને ગોહિલ મનીષભાઈ પર છરીના ઘા ઝીંક્યા હતા. આ હુમલામાં બંને યુવકો ઘાયલ થયા હતા. માહિતી અનુસાર, મહેશભાઈ કંટારીયા અને મનીષભાઈ ગોહિલ હાથબ ગામેથી કડિયા કામ માટે ભાવનગર આવ્યા હતા. શિવાજી સર્કલ વિસ્તારમાં મઢુલી પાસે કામ પતાવી તેઓ તેમના મિત્રો સાથે ચા પીવા બેઠા હતા. તે સમયે આકાશ ઉર્ફે ઘોડો નામનો એક ઈસમ સંપૂર્ણ નશાની હાલતમાં ત્યાં આવ્યો હતો. તેણે માથાકૂટ શરૂ કરી અને મહેશભાઈ તથા મનીષભાઈ પર છરી વડે હુમલો કર્યો હતો. બંને ઘાયલ યુવકોને તાત્કાલિક સારવાર માટે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 10:56 pm

બોટાદ પ્રાંત અધિકારીએ આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લીધી:'સુપોષિત બોટાદ' અભિયાન હેઠળ બાળકોને માર્ગદર્શન આપ્યું

પ્રાંત અધિકારી આરતીબેન ગોસ્વામીએ 'સુપોષિત બોટાદ' અભિયાન અંતર્ગત વિવિધ આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લીધી હતી. બોટાદ કલેક્ટરની સૂચના અને માર્ગદર્શન હેઠળ, તેમણે ભાંભણ ગામના આંગણવાડી કેન્દ્ર-૨ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, બાળકોને સુપોષિત કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કુપોષિત બાળકોના વાલીઓને મળીને બાળકોની ઊંચાઈ, વજન અને પોષણ સ્થિતિ ચકાસીને તેમને યોગ્ય સલાહ આપવામાં આવી હતી. આ ઉપરાંત, બાળ શક્તિ મિશ્રણનો ઉપયોગ કરીને બાળકો માટે વિવિધ વાનગીઓ બનાવવાની જાણકારી આપવામાં આવી હતી. ધાત્રી માતાઓને પણ સમતોલ આહારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.એક બાળકના વજનમાં 500 ગ્રામનો ઘટાડો જોવા મળ્યો હતો. વાલી સાથેની ચર્ચામાં જાણવા મળ્યું કે બાળકને એક અઠવાડિયાથી શરદી-ઉધરસ હતી. આથી, પ્રાંત અધિકારીએ બાળકને CMTC/C.H.C. (કોમ્યુનિટી મેનેજમેન્ટ ઓફ એક્યુટ માલન્યુટ્રિશન સેન્ટર / કોમ્યુનિટી હેલ્થ સેન્ટર) માં લઈ જવાની સલાહ આપી હતી.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 10:42 pm

વેરાવળમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચનાર 5 દુકાનદારોની અટકાયત:SOGએ લીલાશાહ નગરમાં 5 પાનના ગલ્લા પર દરોડા પાડી ચેકીંગ કર્યું

ગુજરાતમાં નશીલા પદાર્થોના ઉપયોગ સામે રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવતા ગીર સોમનાથ જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસે ગેરકાયદેસર રીતે વેચાતા ‘ગોગો પેપર’ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. વેરાવળ શહેરમાં એકસાથે પાંચ અલગ-અલગ પાનના ગલ્લાઓ પર દરોડા પાડી મોટી માત્રામાં ગોગો પેપર તથા સ્મોકિંગ કોન જપ્ત કરવામાં આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ SOG ઇન્ચાર્જ પી.આઈ. ડી.એમ. કાગડા, ASI દેવદાન કુંભરવાડિયા, વિપુલ ટીટીયા, મહાવીરસિંહ, અનિરુદ્ધસિંહ, કૈલાસ બારડ, રાઇટર ગોવિંદ રાઠોડ, મેરામણભાઈ તેમજ ટીમના અન્ય સ્ટાફ દ્વારા આજરોજ વેરાવળમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન પાનના ગલ્લાઓ પરથી ડ્રગ્સના સેવન માટે ઉપયોગમાં લેવાતી ગોગો પેપરની સામગ્રી મળી આવતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. શહેરના આ વિસ્તારોમાં દરોડાSOG ટીમે લીલાશાહ નગરમાં આવેલ રોનક પાન, હરસિદ્ધિ સોસાયટી – સ્કાય સિટી વિસ્તારમાં શિવમ પાન, વેરાવળ બ્લડ બેંક શેરીમાં ગાયત્રી પાન, બહારકોટ કાનાવાલી બાગ વિસ્તારમાં સ્વાતિ પાન, તથા જલારામ ટોકીઝ પાછળ આવેલ ખુશ્બુ પાન પર દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. દરોડા દરમિયાન ગોગો સ્મોકિંગ કોન – 124 નંગ, ગોગો રોલિંગ પેપર – 268 નંગ મળી કુલ રૂ. 4,540/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. 5 દુકાનદારો સામે ગુનોઆ મામલે ભાવેશ ચેતનભાઈ સેજપાલ (રોનક પાન), ખુશાલભાઈ કિશનચંદ ભગાનાણી (શિવમ પાન), ગોવિંદ ત્રિકમદાસ ગંગવાણી (ગાયત્રી પાન), મોસીન ઈસ્માઈલ મુગલ પટણી (સ્વાતિ પાન), પ્રદીપ શામજીભાઈ અડવાણી (ખુશ્બુ પાન) વિરુદ્ધ વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગોગો પેપર પર પ્રતિબંધ બાદ કાર્યવાહીઉલ્લેખનીય છે કે ડ્રગ્સ અને ગાંજા જેવી નશીલી પ્રવૃત્તિઓમાં ઉપયોગ થતી ‘ગોગો પેપર’ની સામગ્રી પાન પાર્લરો તેમજ હોમ ડિલિવરી મારફતે સરળતાથી મળી રહી હોવાની ફરિયાદો સામે આવતા રાજ્ય સરકારે તાજેતરમાં ‘ગોગો પેપર’ના વેચાણ પર પ્રતિબંધ જાહેર કર્યો છે. પ્રતિબંધ જાહેર થતા જ પોલીસ દ્વારા શહેર-શહેર કડક ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. SOG દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન વેપારીઓને ગોગો પેપર સહિત પ્રતિબંધિત સામગ્રીનું વેચાણ ન કરવા કડક ચેતવણી આપવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે નશા સામે ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં આવનારા દિવસોમાં પણ આવા ચેકિંગ અભિયાન ચાલુ રહેશે અને પ્રતિબંધિત સામગ્રીના વેચાણ સામે કડક પગલાં લેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 10:41 pm

હિંમતનગરના ગ્રામજનો માટે રાહતના સમાચાર:HUDA મુદ્દે રાજ્ય સરકારનો યુ-ટર્ન, નિર્ણય હાલ સ્થગિત

હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (HUDA)ના પ્રસ્તાવને લઈને ગામડાંમાંથી ઊઠેલી ચિંતાઓને ગંભીરતાથી લેતા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. HUDA બનાવવાનો નિર્ણય હાલ પૂરતો સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો છે. ગામોના આગેવાનો તથા ગ્રામજનોએ પોતાની રજૂઆતો મૂકી હતીભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં સંબંધિત ગામોના આગેવાનો તથા ગ્રામજનોએ પોતાની રજૂઆતો મૂકી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રચાયેલી કમિટીના સભ્યો મંત્રી ઋષિકેશ પટેલ, અર્જુનભાઈ મોઢવાડીયા અને ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા હાજર રહ્યા હતા. રાજ્ય સરકારે હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી રચવાનો નિર્ણય હાલ માટે રોકવાનો સ્પષ્ટ નિર્ણય કર્યોઆ બેઠક દરમિયાન ગ્રામજનો દ્વારા જમીન, વિકાસના સ્વરૂપ, સ્થાનિક હિતો અને ભવિષ્યની અસર અંગે ઉઠાવાયેલા તમામ મુદ્દાઓને ધ્યાનપૂર્વક સાંભળ્યા બાદ રાજ્ય સરકારે હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી રચવાનો નિર્ણય હાલ માટે રોકવાનો સ્પષ્ટ નિર્ણય કર્યો છે. આ નિર્ણયને ગ્રામજનો માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે, જ્યારે સરકાર તરફથી પણ સંવાદ અને સહમતિના આધારે આગળ વધવાની ભાવના વ્યક્ત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 10:24 pm

ગુજરાત શહેરી વિકાસ વર્ષ 2025:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ₹2800 કરોડના ચેક વિતરિત કર્યા, CITIISમાં ગુજરાત અગ્રણી રાજ્યોમાં સામેલ; અમદાવાદમાં ગૌરવશાળી સમારોહ

અમદાવાદમાં યોજાયેલા શહેરી વિકાસ વર્ષ 2025ના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે કુલ ₹2800 કરોડની રકમના ચેક વિતરિત કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલા CITIIS (સિટી ઈન્વેસ્ટમેન્ટ્સ ટુ ઈનોવેટ, ઇન્ટીગ્રેટ અને સસ્ટેઈન) કાર્યક્રમમાં ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાં છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. સર્ક્યુલર ઇકોનોમીને વેગ આપવા ચાર ‘R’ પર ફોકસમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, સ્માર્ટ સિટીઝ અન્વયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલા સિટી ઈન્વેસ્ટમેન્ટ્સ ટુ ઈનોવેટ, ઇન્ટીગ્રેટ અને સસ્ટેઈન કાર્યક્રમમાં ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાં છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ક્લાઈમેટ ચેન્જના પડકારોને પહોંચી વળવા આપણા નગરો-મહાનગરોએ ગ્રીન સ્પેસ, ગ્રીન ગ્રોથ અને ગ્રીન મોબિલિટી તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સ્વચ્છતા સર્વેક્ષણમાં લીડ લીધી છે. એટલું જ નહિ, સર્ક્યુલર ઇકોનોમીને વેગ આપવા ચાર ‘R’ રિડ્યુસ, રિયુઝ, રિસાયકલ અને રિકવર પર ફોકસ કર્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2005માં શહેરી વિકાસ વર્ષની શરૂઆત કરાવી હતીતેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં જ્યારે અર્બનાઈઝેશનને પડકાર ગણવામાં આવતો હતો ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2005માં શહેરી વિકાસ વર્ષની શરૂઆત કરાવી હતી. આપણી વિરાસતને અનુરૂપ અર્બન ડેવલોપમેન્ટ મોડલ વિકસાવવા માટેની મૂળભૂત માળખાકીય સુવિધા નિર્માણનો મજબૂત પાયો તેમણે નાખ્યો હતો. જો વિઝનરી લિડરશીપ હોય અને વિકાસ માટેના કમિટમેન્ટ સાથે પૈસાની કોઈ કમી ના હોય તો કેટલી સ્પીડથી અર્બન ડેવલોપમેન્ટ કરી શકાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગુજરાતે નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં આ શહેરી વિકાસ વર્ષથી પૂરું પાડ્યું છે. નગરપાલિકાઓને એક સાથે એક જ મંચ પરથી કુલ 2800 કરોડના ચેક અર્પણ શહેરી વિકાસ વર્ષ 2005ની બે દાયકાની એ સફળતાને પગલે મોર્ડન અર્બન ટ્રાન્સફોર્મેશનમાં મોટું પરિવર્તન આવ્યું છે. આ ટ્રાન્સફોર્મેશનને વધુ ગતિ આપવા રાજ્ય સરકારે સર્વ સ્પર્શી, સર્વ પોષક અને સર્વ સમાવેશી નગરોના વિકાસની નેમ પાર પાડવા 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવ્યું છે એમ તેમણે કહ્યું હતું. મુખ્યમંત્રીએ શહેરી વિકાસ વર્ષ 2025ના ઉપલક્ષ્યમાં અમદાવાદમાં આયોજિત કાર્યક્રમમાં રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને એક સાથે એક જ મંચ પરથી કુલ 2800 કરોડ રૂપિયાની રકમના ચેકો વિવિધ સર્વાંગી વિકાસ કામો માટે અર્પણ કર્યા હતા. રાજ્યની 8 મહાનગરપાલિકાઓને કુલ 2132 કરોડ વિકાસ કામો માટે આપ્યામુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ અને રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાની ઉપસ્થિતિમાં આ ચેક અર્પણ અંતર્ગત રાજ્યની 8 મહાનગરપાલિકાઓને કુલ 2132 કરોડ રૂપિયા તથા નવી રચાયેલી 9 મહાનગરપાલિકાઓને પ્રત્યેકને 40 કરોડ મુજબ કુલ 360 કરોડ રૂપિયાની રકમ માળખાકીય વિકાસ કામો માટે આપી હતી. આ ઉપરાંત રાજ્યની 152 નગરપાલિકાઓને કુલ 308 કરોડ રૂપિયા મળીને સમગ્રતયા 2800 કરોડ રૂપિયા વિકાસ કાર્યો માટે આપ્યા હતા. સ્વચ્છતા એ સૌનો સહજ સ્વભાવ બની ગયો છે મુખ્યમંત્રીએ નગરપાલિકાઓને વિકાસ કામોના આયોજનમાં નાણાંની કોઈ તંગી ન રહે એવું જે ફાયનાન્સિયલ મેનેજમેન્ટ સરકારે કર્યુ છે તેની ભૂમિકા આપતાં જણાવ્યું કે, વધુને વધુ નાણાં લોકોના વિકાસ કામો માટે કેમ વાપરી શકાય તેની ક્ષમતા હવે નગરપાલિકાઓએ હવે વધારવાની છે. તેમણે વિકાસના કામોમાં ગુણવત્તાને અને સ્વચ્છતાને પ્રાયોરિટી આપવાનું પ્રેરક સૂચન કરતાં ઉમેર્યુ કે, સ્વચ્છતા એ સૌનો સહજ સ્વભાવ બની ગયો છે ત્યારે એ માટેના વધુ ઈનિસ્યેટિવ લેવાનું દાયિત્વ નગરપાલિકા-મહાનગરપાલિકાઓએ નિભાવવાનું છે. “અર્નિંગ વેલ અને લિવિંગ વેલ”ના સંકલ્પ સાથે તૈયારઆપણા 6 શહેરોએ સ્વચ્છ સર્વેક્ષણમાં નોંધપાત્ર પ્રગતિથી રાષ્ટ્રીય સ્તરે સ્થાને મેળવ્યું છે તે લિગસી ને આગળ વધારવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં બધા જ શહેરોને લિડ લેવાનો અને વોર્ડ દીઠ કચરાનું 100 ટકા સેગ્રીગેશન કરવાનો તથા નગરપાલિકાઓમાં વીજ બિલની બચત માટે ગ્રીન ક્લિન સોલાર એનર્જીનો ઉપયોગ વધારવાનો ભૂપેન્દ્ર પટેલે અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ 2047ના વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણનો રોડમેપ “અર્નિંગ વેલ અને લિવિંગ વેલ”ના સંકલ્પ સાથે તૈયાર કરવામાં આવ્યો છે તેમ જણાવતા કહ્યું કે, 2047ના વિકસિત ભારત પહેલાં 2035માં ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ ઉજવાય ત્યાં સુધીમાં આપણા શહેરોને દેશમાં ઉતકૃષ્ઠ સુવિધાયુક્ત શહેરો બનાવવાની તક છે. તેમણે સિટિઝન સેન્ટ્રીક ઈ-સર્વીસીસ અને મોબાઈલ ગવર્નન્સનો વ્યાપ વધારીને બધા જ શહેરોમાં ટેક્ષ કલેક્શન, વીજ બિલ સહિતના બિલોના પેમેન્ટ માટે યુ.પી.આઈ.ના ઉપયોગને વેગ મળે તે જોવાનો પણ અનુરોધ મહાનગરપાલિકાઓ-નગરપાલિકાઓને કર્યો હતો. આજે અનેક શહેરોએ દેશમાં સ્વચ્છતામાં આગળ આવીને મહત્ત્વપૂર્ણ સ્થાન મેળવ્યું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે શહેરી વિકાસ માટે એક જ સ્થળેથી રાજ્યભરની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને ચેક અર્પણ કરવાના આ કાર્યક્રમ બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, મુખ્યમંત્રી પ્રજાની સમસ્યાઓ અને તકલીફોના સમાધાન માટે સતત પ્રયાસરત રહે છે. મહેસૂલ અને શહેરી વિકાસ ક્ષેત્રે સમસ્યાઓનાં ઉકેલ શોધવા મુખ્યમંત્રીશ્રીએ સતત પ્રયાસરત રહીને જન સુખાકારીના અનેકવિધ કાર્યો પૂર્ણ કરાવ્યા છે. એમના જ કાર્યકાળમાં આજે અનેક શહેરો એ દેશમાં સ્વચ્છતામાં આગળ આવીને મહત્ત્વપૂર્ણ સ્થાન મેળવ્યું છે. આજે સમગ્ર દેશ વિકાસની આ તેજ ગતિ જોઈ રહ્યો છેનાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે ત્રણ દાયકા પહેલાંની સરકારોના સમયમાં નાગરિકોએ માળખાગત સુવિધાઓના અભાવે સતત તકલીફોમાં જીવવું પડતું હતું. પરંતુ, નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે શાસનધૂરા સંભાળ્યા બાદ ગુજરાતનાં શહેરો અને જિલ્લાઓ સતત વિકાસપથ પર તેજ ગતિથી આગળ વધ્યાં છે અને આજે સમગ્ર દેશ વિકાસની આ તેજ ગતિ જોઈ રહ્યો છે. ધોલેરા અને ગિફ્ટ સિટીનું ઉદાહરણ આપ્યુંતેમણે ઉચ્ચકક્ષાની માળખાગત સુવિધાઓ સાથે નગરોના સતત વિકાસ વિશે વાત કરતાં કહ્યું કે, રાજ્યની 9 નગરપાલિકાઓ આજે મહાનગરપાલિકાઓ બની છે. ધોલેરા અને ગિફ્ટ સિટીનું ઉદાહરણ આપી, સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટના વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી. સ્વચ્છતા સહિત અન્ય ક્ષેત્રોમાં અને નાગરિક સુવિધાઓ માટે ઉપસ્થિત સૌને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા એકસાથે આગળ વધવા અનુરોધ કર્યો હતો. શહેરી વિકાસમંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ગુજરાતના વિકાસ માટે અનેકવિધ આયામો અને યોજનાઓ અમલી બનાવી હતી. જ્યોતિગ્રામ યોજના, શાળા પ્રવેશોત્સવ, વાઈબ્રન્ટ ગુજરાત સહિતની યોજનાઓ અને અભિયાનો ઉપરાંત આદિજાતિ વિકાસ માટે અલાયદું બજેટ તથા 2005માં મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજનાનો પાયો નરેન્દ્રભાઈએ નાખ્યો હતો. શહેરી વિકાસ વિભાગનું બજેટ 22 હજાર કરોડથી વધારીને 30 હજાર કરોડ કર્યું એ જ દિશામાં આગળ વધતાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વિભાગનું બજેટ 22 હજાર કરોડથી વધારીને 30 હજાર કરોડ કર્યું છે. શહેરોમાં રોડ રસ્તા, સેનિટેશન, ડ્રેનેજ, સ્ટોર્મ વોટર સહિતના શહેરી વિકાસના પ્રકલ્પોના નિર્માણ માટે શહેરી વિકાસ વિભાગ સતત કામગીરી કરી રહ્યો છે તેમ જણાવી, તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાના હોદ્દેદારોને તેમણે દરેક વિકાસકામ સમયસર પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે, રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ અંતર્ગત આવતા વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓના વિકાસ માટે રાજ્ય સરકાર હંમેશાં કટિબદ્ધ છે. રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે સતત દરકાર લીધીતેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે સતત દરકાર લીધી હતી. એ જ દિશામાં આગળ વધતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે પણ શહેરી વિકાસ વિભાગના બજેટમાં ઉત્તરોત્તર વધારો કરીને લોકોની સુખાકારી વધારવા માટે અનેકવિધ પ્રકલ્પોના વિકાસ માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ અવસરે રાજ્યના વિવિધ શહેરી વિસ્તારોના સર્વાંગી વિકાસની ઝાંખી કરાવતી ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તમામ અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાઆ કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, અમદાવાદનાં મેયર પ્રતિભાબેન જૈન, સ્થાનિક ધારાસભ્યો, શહેરીવિકાસ અગ્રસચિવ એમ. થેન્નારસન, કમિશનર ઑફ મ્યુનિસિપાલિટીઝ શ્રીમતી રેમ્યા મોહન, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડનાં અધિક કમિશનર વીણા પટેલ તેમજ રાજ્યભરની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 10:22 pm

વેરાવળમાં એસ.ટી. બસમાંથી વિદેશી દારૂ ઝડપાયો:ભાવનગર-વેરાવળ રૂટ પર લાઇન ચેકિંગમાં પર્દાફાશ, ઉના ડેપો સાથે તાર

ગીર સોમનાથ ભાવનગરથી વેરાવળ આવી રહેલી એસ.ટી. બસમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાનો બનાવ સામે આવ્યો છે. GSRTCની લાઇન ચેકિંગ ટીમ દ્વારા વેરાવળ નજીક આવેલા નમસ્તે સર્કલ પાસે નિયમિત ટિકિટ ચેકિંગ દરમિયાન બસમાંથી વિદેશી દારૂ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. તો બીજી GSRTC બસમાં દારૂની હેરાફેરીના તાર ઉના એસ.ટી ડેપો સાથે જોડાયા હોવાની ચર્ચા છે. પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર–વેરાવળ રૂટ પર દોડતી GJ-18 ZT 0439 નંબરની એક્સપ્રેસ એસ.ટી. બસમાં ચેકિંગ દરમિયાન એક થેલો મળી આવ્યો હતો. તપાસ કરતાં થેલામાં વિદેશી દારૂનો જથ્થો હોવાનું બહાર આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં આ થેલો બિનવારસી હોવાનું જાણવા મળ્યું છે. GSRTCની લાઇન ચેકિંગ ટીમે સમગ્ર મામલાની જાણ તાત્કાલિક સ્થાનિક પોલીસને કરી હતી. બાદમાં ઝડપાયેલ વિદેશી દારૂનો જથ્થો વધુ તપાસ અર્થે પ્રભાસ પાટણ પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે GSRTCના ડ્રાઇવર ઘેલાભાઈ મૂલુભાઈ વાધ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ દ્વારા એસ.ટી. બસ મારફતે દારૂની હેરાફેરી પાછળ કોણ સંડોવાયેલું છે તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ GSRTC ની બસ માં વિદેશી દારૂ ની હેરાફેરીના તાર ઉના એસ.ટી બસ ડેપો સાથે જોડાયા હોવાનું આધારભૂત વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. જો પોલીસ તટસ્થ તપાસ હાથ ધરે અને આ બસ ના ઉના એસ.ટી.બસ ના CCTVની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરે તો દારૂની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ થઈ શકે છે. જાહેર પરિવહનના સાધનોનો ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે ઉપયોગ થતો હોવાની ઘટનાઓ સામે આવતાં સુરક્ષા અને ચેકિંગ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 10:14 pm