SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

25    C
... ...View News by News Source

માર માર્યો:ભાગીયુ રાખતા શખ્સને બાજુની વાડીના ભાગીયાએ માર માર્યો

તળાજા તાલુકાના કામરોળ ગામે ભાગ્યું રાખીને ખેતી કામ કરતા મૂળ બગદાણા ગામના લાલજીભાઈ ઉર્ફે લાલાભાઇ નારણભાઈ શિયાળ એ તળાજા પોલીસને ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેઓ પોતાની વાડીમાં કામ કરતા હતા તે વેળાએ બાજુની વાડીમાં ભાગ્યા તરીકે કામ કરતા અશોક મનુભાઈ ઢાપા, વિજય મનુભાઈ ઢાપા (જૂની કામરોલ) એ મારી વાડીએ મજૂરી એ કેમ નથી આવતો તેમ કહી ગાળો આપવા લાગેલ જેને લાલજીભાઈએ ગાળો દેવાની ના પાડતા બંને શખ્સો એકદમ ઉશ્કેરાઈ જઈ લાકડી વડે લાલજીભાઈને મારમાર્યો હતો. ત્યારે તેમના બા સમજુબેન મનુભાઈ ઢાપાએ ગાળો આપી હતી જેથી લાલજીભાઈ ઉર્ફે લાલાભાઇ નારણભાઈ શિયાળાને તળાજા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા જ્યાં પોલીસે ગુનો નોંધ્યો હતો.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 7:55 am

મોટરસાયકલની ચોરી:મહુવામાં નોકરી કરવા ગયેલા નેસવડ ગામના યુવાનનું મોટરસાયકલ ચોરાયું

મહુવા તાલુકામાં ખોડીયાર નગર પ્લોટ વિસ્તાર નેસવડ ગામ માં રહેતા દીપકભાઈ મનસુખભાઈ બારૈયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ આસ્થા કોમ્પ્યુટરમાં નોકરી કરતા હોય જેથી પોતાનું મોટરસાયકલ GJ 27 DC 5971 જૂની કોર્ટના કમ્પાઉન્ડમાં આવેલા પતરા ના પાર્કિંગમાં પાર્ક કર્યું હતું અને બપોરના ઘરે જમવા જતી વેળાએ પોતાનું મોટરસાયકલ પાર્કિંગમાં ન જોતા કોઈ અજાણ્યો શખ્સ ચોરી ગયું હોય તે શંકાએ ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 7:54 am

ધમકી:પરિણીતાને સંબંધ રાખવા કહી પરિવારને મારી નાખવાની ધમકી

ભાવનગર શહેરના રૂવાપરી રોડ પાસે લાલ ડેલા હુદા મસ્જિદ વાળા ખાતે રહેતા સમીનાબેન ફેજલભાઇ માલકાણીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવતા જણાવ્યું હતું કે તેમના દેરાણીનો સગો ભાઈ ઝુબેર આફીરભાઇ લાકડીયા રહે શેલારસા રોડ સંઘેડીયા બજાર સમીર મેડિકલ ની સામે ફરિયાદમાં જણાવ્યું હતું કે ઝુબેર સાથે પારિવારિક સંબંધ હોવાથી ફોનમાં તથા મેસેજ કરવાના સંબંધો હતા જે પરિવારમાં જાણ થતાં દરેક સંબંધો મૂકી દીધા હતા ત્યારે ઝુબેર સમીનાબેનનો પીછો કરી તેની પાછળ પાછળ ફરી સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. હાલમાં જ તેમના પરિવારમાં યોજાયેલા પ્રસંગમાં પણ સમીનાબેનની પાછળ જઈ જઈને સંબંધ રાખવા માટે મજબૂર કરતો હતો અને તેમના સાસરિયાના ઘર પાસે આવીને સંબંધ રાખવા દબાણ કરતો હતો અને જો સંબંધ નહીં રાખે તો તેના પતિ અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી સમીનાબેને પોલીસ કંટ્રોલમાં જાણ કરી મદદ માગી હતી. આ ઝુબેર આફિરભાઈ લાકડીયા માથાભારે હોય અને તેનો સંબંધી થતો હોય તેથી સમજાવટથી ના પાડી છતાં પણ પીછો કરી દબાણ કરતો હોવાથી ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 7:54 am

GSEB:ધો.10-12ની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાનારી ધોરણ 10 અને 12ના વિવિધ પ્રવાહોની પરીક્ષાઓ માટેના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ 10મી ડિસેમ્બર સુધી રેગ્યુલર ફી સાથે અને 11 ડિસેમ્બર થી 22 ડિસેમ્બર સુધી લેટ ફી સાથે ફી ભરી શકશે. બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. ધો.10 અને ધો.12ની પરીક્ષામાં રેગ્યુલર ફી સાથે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 ડિસેમ્બર 2025 હતી, જેને વધારીને હવે 10 ડિસેમ્બર 2025 કરવામાં આવી છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ 11 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર 2025 સુધી લેટ ફી સાથે ફોર્મ ભરી શકશે. લેટ ફી ત્રણ તબક્કામાં રાખવામાં આવી છે—11 થી 14 ડિસેમ્બર દરમ્યાન ₹250, 15 થી 18 ડિસેમ્બર દરમ્યાન ₹300 અને 19 થી 22 ડિસેમ્બર દરમ્યાન ₹350 લેટ ફી રહેશે તેમ ભાવનગરના ડીઇઓ હિતેન્દ્રસિંહ પઢેરિયાએ જણાવ્યું છે. આ પરીક્ષામાં વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને નિયમિત પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે, જોકે પરીક્ષાની લેટ ફીમાંથી કોઈને મુક્તિ અપાશે નહી તેમ ડીઇઓ કચેરીના રાજુભાઇ ભટ્ટે જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 7:53 am

જીવલેણ મારામારી:તળાજાના ભારાપરા ગામે એકજ કુટુંબના સભ્યો વચ્ચે સશસ્ત્ર લોહિયાળ ધીંગાણું

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભારાપરા ગામે એક જ કુટુંબના સભ્યો વચ્ચે સશસ્ત્ર મારામારી લોહિયાળ બની હતી. ખેતરના શેઢે લાઈટનું ટીસી નહીં નાખવા દઉં અને જુના પારિવારિક અણ બનાવને લીધે લોખંડના પાઇપ, તલવાર, ધારિયા અને લાકડાના ધોકા વડે મારા મારી સર્જાતા બંને પક્ષના સભ્યોને હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં પોલીસે સામસામે ફરિયાદ નોંધ વધુ તપાસ હાથ ધરી હતી. ભારાપરા ગામે રહેતા સેજલબેન જગદીશભાઈ મકવાણા પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના જેઠનો દીકરો વાળીના શેઢે રમતો હોય જેથી તેને લેવા જતા તેના કુટુંબી દિયર વિજયભાઈ હરજીભાઈ મકવાણા રસ્તામાં ઉભા હતા અને જેમ ફાવે તેમ ગાળો આપી માર મારતા દેખારો થતા સેજલબેનના પતિ અને સસરાને વિજય હરજીભાઈ મકવાણા, વિપુલ હરજીભાઈ મકવાણા, શારદા વિપુલભાઈ મકવાણા, પૂરી હરજીભાઈ મકવાણા એ લાકડાના ધોકા વડે માર માર્યો હતો આ બનાવવાનું કારણ કુટુંબી જુનો અણ બનાવો હતો. જ્યારે સામા પક્ષે વિજયભાઈ હરજીભાઈ મકવાણા એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પોતાના ખેતરે ઉભા હતા ત્યારે તેમના સગા કાકા સુરેશભાઈ તેના ઘર તરફ જતા હતા ત્યારે ખેતરના શેઢે નવું ટીસી નાખવા નહીં દઉં તેમ કરી ઉશ્કેરાઈ જઈ વિજયભાઈ અને તેમના ભાઈ વિપુલભાઈ ને સુરેશ ગણેશભાઈ મકવાણા, જગદીશ સુરેશભાઈ મકવાણા, હંસા સુરેશભાઈ મકવાણા, શિલ્પા સુરેશભાઈ મકવાણા એ તલવાર, લોખંડના પાઇપ અને ધારીયા વડે માર માર્યો હતો જેમાં બંને પક્ષોને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં પોલીસે સામ સામે ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 7:52 am

ધર્મોત્સવ:પાલિતાણામાં સુરીપ્રેમ ભુવનભાનુ પુણ્ય પરિસરમાં 127 શિલાઓની વિધિ સંપન્ન

જૈનોના પવિત્ર તીર્થધામ પાલિતાણામાં મેવાડ ભવનની બાજુમાં આવેલ પ્રેમ-ભુવનભાનુ પુણ્ય પરિસરમાં પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજાના આશીર્વાદથી પૂજ્ય શ્રમણીગણનાયક આચાર્ય શ્રી રશ્મિરત્નસૂરિશ્વરજી મ.સા. આચાર્ય શ્રીસંયમરત્ન સુરીશ્વરજી મ.સા., આચાર્ય શ્રી લબ્ધીવલ્લભ સુરીશ્વરજી મ.સા. આદિ સાધુ ભગવંતો તથા પ્રવર્તીની સાધ્વીશ્રી પુણ્યરેખાશ્રી આદિ સાધ્વી ભગવંતોને નિશ્રામાં 9 મુખ્ય શીલા સહિત 127 શીલાઓની ૫ ડિસેમ્બરે મંત્રોચ્ચાર સાથે પૂર્ણ થયેલ છે. આ પ્રસંગે દાનવીર અને જીવદયાપ્રેમી સુશ્રાવક કુમારપાળભાઈ. વી. શાહ તથા દાનવીર કલ્પેશભાઈ. વી.શાહ આદિ અનેક ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેલા. ડોક્ટર સંજયભાઈ શાહે વિગત આપી અને કલ્પેશભાઈની પહેલ કરી એ મુજબ અનેક દાનવીરો એ યોજનામાં લાભ લીધેલ છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 7:52 am

વીજકાપ:વલભીપુર 220 કે.વી. સબ સ્ટેશનમાં 9મીએ વીજકાપ

વરતેજ જેટકો પ્રવહન વિભાગીય કચેરી દ્વારા વલભીપુર 220 કે.વી. સબ સ્ટેશનમાં મરામત કામગીરી અનુસંધાને આગામી તા.9મી ડિસેમ્બર-2025 મંગળવારે 11 કલાકનો વીજકાપ જાહેર કરાયો છે. વલભીપુર 220 કે.વી. સબ સ્ટેશનમાં મરામત કામગીરી અંતર્ગત સબ સ્ટેશનમાંથી નીકળતા તમામ 11 કે.વી.ના ફિડરોમાં તા.9મીને મંગળવારે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. વલભીપુર 220 કે.વી. સબ સ્ટેશનમાં મરામત કામગીરી વહેલી પૂર્ણ થયે કોઈપણ જાતની જાણ કર્યા વિના વીજ પુરવઠો પુનઃ શરૂ કરી દેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 7:50 am

ખુલ્લેઆમ દારૂનું વેચાણ:23 સ્થળો પર ધમધમી રહ્યા છે દારૂના અડ્ડા, કોંગ્રેસે એસપીને આપ્યા સરનામા

ભાવનગર શહેરમાં દારૂ, ગાંજો અને પાવડરના અડ્ડાઓ બેફામ રીતે ચાલતા હોવાના શહેર કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરી આ અડ્ડાઓ તાત્કાલિક બંધ કરવાની કાર્યવાહી માટે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે. અને એટલું જ નહીં પરંતુ કોંગ્રેસ દ્વારા લેખિતમાં શહેરમાં જુદી જુદી 23 જગ્યાએ દારૂના અડ્ડાઓની યાદી પણ પોલીસને આપી છે. જેથી પોલીસ તેની સામે કાર્યવાહી કરી શકે. ભાવનગર શહેર સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી તરીકે જાણીતું છે ત્યારે શહેરમાં ચાલતા દારૂ, ગાંજા અને પાવડરના અડ્ડાઓને કારણે ભાવનગરની સંસ્કારીતા પર લાંચન લાગતા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી નું પણ અપમાન થતું હોવાનું ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ દ્વારા જિલ્લા પોલીસવડાને રજૂઆત કરી આ અડ્ડાઓ તાત્કાલિક બંધ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવા માગણી કરી છે. આ રહ્યા દારૂના ધમધમતા અડ્ડાના સરનામા, બંધ કરાવોભાવનગર શહેરમાં દારૂના અડ્ડાઓ ચાલી રહેલ હોવાનું શહેર કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરી દારૂના અડ્ડા ધમધમતા હોય તેવા 23 સ્થળો દર્શાવ્યા છે. જેમાં કુંભારવાડા અક્ષર પાર્ક સોસાયટીના નાળાથી લઈ ભઠ્ઠી વાળા રોડ સુધીમાં, અવેડા પાસે, ચિત્રા જીઆઇડીસીમાં મોગલ પાન પાસે, રેલવે પાટા પાસે, મસ્તરામ મંદિર પાસે, ફુલસર પાણીની ટાંકી પાછળ, એસટી વર્કશોપ વાળા ખાચામાં હનુમાનજી મંદિર પાસે અને ચિત્રા ફુલસર ખારા વિસ્તારમાં, આખલોલ જકાતનાકા 25 વારિયામાં, બોરતળાવ મફતનગરમાં, બેન્ક કોલોનીમાં, કુમુદવાડી, માલધારી સોસાયટી, માઢીયા રોડ ખારવિસ્તાર, ચાવડી ગેટ, સરદારનગર બ્રહ્માકુમારી હોસ્ટેલ પાસે, સરદારનગર ભારત પેટ્રોલ પંપની સામે દારૂના અડ્ડા છે. તેમજ બહુચરાજી માતાના મંદિર પાછળ, સરદાર નગર અખાડામાં, જકાતનાકા શોપિંગ સેન્ટર જયદીપ સેલ્સ એજન્સી પાછળ અને આડોડીયાવાસમાં દીપક ચોક વણકર હોલની બાજુમાં, કરચલીયા પરા ભુંભાણીફળીઅને વાઘેલાના મઢ પાસે, રેલવે ફાટક પાસે સિંહાકોલોની તેમજ સીદસર 25 વારીયા અને અકવાડા તથા શીતળા માતાના મંદિરની સામેના વિસ્તારમાં પણ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે હોવાનું ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા ભાવનગરના એસપીને જણાવાયું છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 7:48 am

ભાવનગર રેલ્વે સ્ટેશનને અધધ આવક:ભાવનગર રેલવેને નવેમ્બર ફળ્યો, 181.62 કરોડની આવક નોંધાઇ

નવેમ્બર-2025નો મહિનો ભાવનગર રેલવે ડિવિઝન માટે શીતળ અનુભવ વાળો રહ્યો હતો, અને એક જ માસમાં રેલવેને 181.62 કરોડની આવક પ્રાપ્ત થઇ હતી. ભાવનગર રેલવે ડિવિઝનને નવેમ્બર માસ દરમિયાન મુસાફર પરિવહન થકી રૂપિયા 29.50 કરોડની આવક થઇ હતી. જ્યારે માલ પરિવહન થકી 95.67 કરોડની આવક મળી હતી. એક જ માસમાં મુસાફરોની ટિકિટના ચેકિંગ હાથ ધરવામાં આવ્યા હતા અને એક જ માસમાં 8130 મુસાફરો ટિકિટ વિના પરિવહન કરી રહેલી હાલતમાં ઝડપાયા હતા અને તમામ પાસેથી રપિયા 56.45 લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો. ભાવનગર રેલવેના ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલકુમાર ત્રિપાઠીના મતે, માલ પરિવહન માટે ઉદ્યોગ ગૃહો સાથે સતત મિટિંગો કરવામાં આવે છે, અને શક્યત: તમામ સવલતો તેઓને રેલ પરિવહન માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા પણ સતત અને તમામ ટ્રેનોમાં રેન્ડમ ચેકિંગ કરવામાં આવે છે, અને તેના પરિણામે જ એક જ માસમાં 8130 મુસાફરોને ટિકિટ વિના મુસાફરી કરી રહેલા પકડવામાં આવ્યા હતા. ભાવનગર રેલવે દ્વારા મુસાફરોની તમામ સવલતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, અને સમયસર ટ્રેનોના સંચાલન બાબતે વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. ભાવનગર બંદર પર રેલવેને મોટી આશાભાવનગર બંદરનો વિકાસ થઇ રહ્યો છે, અને છેક સુધી રેલવેની લાઇન મોજુદ છે. બંદર ઉપર આવતા માલસામાનને ઉત્તર ભારત, મધ્ય ભારતમાં પહોંચાડવા માટે રેલવે સરળ પરિવહન માધ્યમ છે. ભાવનગર બંદર બહુહેતુલક્ષી બનવાની સાથે જ માલ પરિવહન થકી રેલવેની આવકમાં નોંધપાત્ર વધારો થવાનો છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 7:47 am

સૌરાષ્ટ્ર સમાચાર ઇમ્પેક્ટ:રાજ્યની મેડિકલ કોલેજોમાંથી બોન્ડેડ તબીબી ઉમેદવારોની માહિતી મંગાવાઈ

ગુજરાતમાં કોરોના કાળમાં મેડિકલ ક્ષેત્રે વર્ષ-2021ની પોસ્ટ ગ્રેજ્યુએશન બેચની પ્રવેશ પ્રક્રિયા છ-આઠ મહિના મોડી થઈ હતી. જેથી વર્ષ-2022ની બેચના નવેમ્બર-2025માં પોસ્ટ ગ્રેજ્યુએશન (ડિગ્રી અને ડિપ્લોમા) પુરૂ કરનારા ભાવિ તબીબોને ગ્રામ્ય વિસ્તારોમાં સોંપવામાં આવતી બોન્ડેડ મેડિકલ સેવાને લઇ પેચીદો પ્રશ્ન ઉભો થયો હતો. સૌરાષ્ટ્ર સમાચારમાં તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલથી આખરે આરોગ્ય વિભાગના તંત્રવાહકો જાગ્યા છે ત્યારે આરોગ્ય તબીબી સેવાઓ અને શિક્ષણ વિભાગે તબીબી અભ્યાસક્રમ પૂર્ણ કરનારા ઉમેદવારોની ભાવનગર સહિત 6 સરકારી મેડિકલ કોલેજો પાસેથી માહિતી માંગી છે. ગાંધીનગર આરોગ્ય તબીબી સેવાઓ અને શિક્ષણ વિભાગે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગરની સરકારી મેડિકલ કોલેજને જારી કરેલા પરિપત્રમાં પોસ્ટ ગ્રેજ્યુએશન તબીબી અભ્યાસક્રમ (ડિગ્રી અને ડિપ્લોમા) પૂર્ણ કરતા બોન્ડેડ ઉમેદવારોની યાદી મોકલી આપવા જણાવાયું છે. જેમાં તબીબી અભ્યાસક્રમ પૂર્ણ કરનારા બોન્ડેડ ઉમેદવાર પૈકી સિનિયર રેસિડેન્ટ તરીકે જોડાવા માંગતા હોય તે સિવાયના બોન્ડેડ ઉમેદવારની માહિતી આગામી તા.10મી ડિસેમ્બર-2025 સુધીમાં મોકલી આપવા જણાવાયું છે. તેમજ GMERS અને સ્વનિર્ભર સંસ્થાઓએ રાજ્ય સરકારના 30 જાન્યુ-2020ના ઠરાવ અનુસાર ફ્રિ શિપ કાર્ડનો લાભ મેળવેલ હોય તેવા બોન્ડેડ ઉમેદવારની યાદી મંગાવાઈ છે. ભાવિ તબીબો ગૂંચવણમાં હતાબોન્ડેડ મેડિકલ સેવા મામલે રાજ્યની 6 સરકારી મેડિકલ કોલેજ અને જી.એમ.ઈ.આર.સી. સંલગ્ન મેડિકલ કોલેજમાંથી નવેમ્બર-2025માં પોસ્ટ ગ્રેજ્યુએશન પુરૂ કરનારા 1300 જેટલા ભાવિ તબીબો ગૂંચવણમાં હતા. કોરોનાના કારણે સર્જાયેલી સ્થિતિ બાદ બોન્ડેડ મેડિકલ સેવા બાબતે આખરે રાજ્યના આરોગ્ય વિભાગે આળસ ખંખેરી કાર્યવાહી શરૂ કરતા હવે વર્ષ-2022ની બેચના પોસ્ટ ગ્રેજ્યુએશન પુરૂ કરનારા તબીબોને હવે આશા જન્મી છે. ઉલ્લેખનીય છે કે બોન્ડેડ મેડિકલ સેવાના પ્રશ્ને રાજ્યના વિવિધ જુનિયર ડોક્ટર્સ એસોસિએશન દ્વારા સિનિયર રેસીડન્ટશીપના સમયગાળાને બોન્ડ સેવામાં ગણવા સહિતની માંગણીઓ બાબતે સ્થાનિક અને ઉચ્ચકક્ષાએ લેખિતમાં રજુઆત કરી હતી.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 7:46 am

PGVCLના મહત્વાકાંક્ષી સ્કાડા પ્રોજેક્ટ અંતર્ગત થશે કામગીરી:સૌરાષ્ટ્રના 4 શહેરોમાં RMU સિસ્ટમ અંગે સર્વે હાથ ધરાશે

કેન્દ્ર સરકારના ઊર્જા મંત્રાલય નિદર્શિત માર્ગદર્શિકા અનુસાર વીજળી સંબંધિત પ્રશ્નોના તાત્કાલિક નિકાલ થાય તેવા આશય સાથે પી.જી.વી.સી.એલ. દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સ્કાડા (સુપરવિઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન) સિસ્ટમ હેઠળ વીજ વ્યવસ્થાપન તંત્રનું ડીજીટલાઇઝેશન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પી.જી.વી.સી.એલ.ના મહત્વાકાંક્ષી સ્કાડાના પાયલોટ પ્રોજેક્ટને લઈ પસંદ કરાયેલા ભાવનગર, રાજકોટ, જૂનાગઢ અને જામનગરમાં પ્રારંભિક તબક્કાનું પરીક્ષણ શરૂ કરાય બાદ સૌરાષ્ટ્રના આ ચારેય શહેરોમાં RMU (રીંગ મેઈન યુનિટ) સિસ્ટમ અંગે સર્વે કરાશે. પી.જી.વી.સી.એલ.ના સ્કાડા પ્રોજેક્ટ અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોનમાં પસંદ કરાયેલ ભાવનગર, રાજકોટ, જૂનાગઢ અને જામનગરમાં પાર્ટ-1માં હયાત વીજ વ્યવસ્થાપન તંત્રને અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. તેની સાથોસાથ પાર્ટ-2માં સૌરાષ્ટ્રના પસંદ કરાયેલ ચારેય શહેરોમાં RMU (રીંગ મેઈન યુનિટ) સિસ્ટમ લગાવવા, વીજળીના સ્માર્ટ મીટર લગાવવા સહિતની મૂળભૂત કામગીરી તબક્કાવાર કરવામાં આવી રહી છે. ત્યારે સંભવતઃ આગામી વર્ષ-2026ના અંત સુધીમાં પી.જી.વી.સી.એલ.માં સ્કાડા પ્રોજેક્ટ સંપૂર્ણપણે કાર્યરત બનશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. PGVCLમાં ક્યાં કેટલા નવા RMU લાગશે ? ▪️ ભાવનગર શહેર 68 ▪️ જામનગર શહેર 24 ▪️ રાજકોટ શહેર 20 ▪️ જુનાગઢ શહેર 109 RMU સિસ્ટમથી વીજળીને લગતા પ્રશ્નો હળવા થશેPGVCLના હાલના વીજ વ્યવસ્થાપનમાં વીજળીના 11 કે.વી.ના ફિડરમાં કોઈ એક પ્રશ્નને લઈ જે તે વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરવામાં આવે છે. ત્યારે RMU (રીંગ મેઈન યુનિટ) સિસ્ટમથી હવે આગામી દિવસોમાં જ્યાં ફોલ્ટ હશે તે વિસ્તારમાં વીજળી બંધ રહેશે. આથી આ વિસ્તારના અન્ય ગ્રાહકોને કારણ વિનાના વીજકાપ સહન કરવામાંથી મુક્તિ મળશે. RMU (રીંગ મેઈન યુનિટ) સિસ્ટમમાં એકથી વધુ 11 કે.વી.ના ફિડરની વીજ વ્યવસ્થાપનનું સંચાલન કરી શકાતું હોવાથી વીજળીને લગતા પ્રશ્નો હળવા બનશે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 7:43 am

આરોગ્ય સેવામાં વધારો:6.2 કરોડના ખર્ચે બનાવાશે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને હેલ્થ ક્ષેત્રે પ્રાથમિક સુવિધાઓ તેમના ઘરની નજીકમાં જ મળતી થાય, નાની-મોટી માંદગી કે અન્ય અનિવાર્ય કારણોસર જરૂરી આરોગ્ય વિષયક સેવા ઝડપથી મળી રહે તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં હાલ કાર્યરત પી.એચ.સી. કેન્દ્રોને ધ્યાને લઇ મહિલા કોલેજ સર્કલ પાસે યશવંતરાય નાટ્યગૃહની બાજુમાં 6.2 કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પી.એચ.સી.) બનાવવા માટે આયોજન કરવામાં આવેલ છે. મહાનગરપાલિકા દ્વારા મહિલા કોલેજ સર્કલ પાસે નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુલ ત્રણ માળનું બનાવવામાં આવનાર છે. જે કામમાં સ્ટેન્ડીંગ કમિટી દ્વારા પરામર્શ આપવામાં આવેલ છે તથા તે અનુસંધાને ટેન્ડર પ્રક્રિયા ગતિમાં હોવાનું સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન રાજુભાઇ રાબડીયાએ જણાવ્યું છે. જેમાં ગ્રાઉન્ડ ફલોરમાં ઓ.પી.ડી. રૂમ, ડીસ્પેન્સરી, માઇનર ઓ.ટી., લેબોરેટરી, ડ્રેસીંગ એરીયા વિગેરે આરોગ્ય વિષયક સેવાઓ માટે પ્રાવધાન કરવામાં આવેલુ છે. તથા પ્રથમ અને બીજા માળ પર કલીનીક, કોલ્ડ ચેઇન રૂમ, મેલ-ફીમેલ વોર્ડ, નસીંગ રૂમ, કોન્ફરન્સ હોલ, સ્ટોર રૂમ વિગેરેનો સમાવેશ થાય છે. વધુમાં સી.સી.ટી.વી., ફાયર સિસ્ટમ તથા પાર્કીંગ વિગેરે જરૂરી બાબતોનો પી.એચ.સી.ના બિલ્ડીંગમાં સમાવિષ્ટ થયેલ છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બનાવવામાં આવી રહેલ અન્ય પી.એચ.સી. કે જેમાં સીદસર ગામ ખાતે પી.એચ.સી., બોરતળાવ ગૌરીશંકર સોસાયટી પી.એચ.સી.. સુભાષનગર પી.એચ.સી., વિઠ્ઠલવાડી વિસ્તારમાં પી.એચ.સી., કુંભારવાડા-હાદાનગર પી.એચ.સી., કરચલીયા પરામાં વાલ્કેટગેટ આગરિયાવાડ ખાતે પી.એચ.સી. બનાવવાની કામગીરી શરૂ છે. જેથી શહેરના લોકોને હેલ્થને લગત સેવાઓ સરળતાથી નજીકમાં જ પ્રાપ્ત થઇ શકે. 14 પીએચસી, 3 યુપીએચસી કાર્યરતહાલમાં શહેરના વિવિધ વિસ્તારોમાં 14 જેટલા પી.એચ.સી. 3 શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્રો (યુ.સી.એચ.સી.) પણ કાર્યરત છે. આ તમામ આરોગ્ય કેન્દ્રો પર દર્દીઓને ઓ.પી.ડી. સેવાઓ, પ્રાથમિક સારવાર, દવા તેમજ લેબોરેટરી નિદાન ઉપરાંત બાળકોનું રસીકરણ, સગર્ભા અને ધાત્રી માતાઓને સેવાઓ, વાહકજન્ય તથા પાણીજન્ય રોગ નિયંત્રણ હેતુ કામગીરી, બિનચેપી રોગોના નિદાન તથા સારવાર વગેરે જેવી વિવિધ આરોગ્યવિષયક સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ઉપરાંત વિવિધ પી.એચ.સી. સંલગ્ન 28 જેટલા દીનદયાળ ઔષધાલય અને 26 જેટલા આયુષ્યમાન આરોગ્ય મંદિર (હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર) પણ કાર્યરત છે. જે તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે લોકોને જરૂરીયાતના સમયે સારવાર લેવા મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને આથી અનુરોધ કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 7:43 am

સન્ડે ફોટો સ્ટોરી:ભાવનગરના નવા બંદરે પૂનમના દિવસે જોવા મળે છે ટાપુ જેવું અનુપમ સૌંદર્ય

ભાવનગર નવા બંદર (ન્યૂ પોર્ટ) એ મોટો વિસ્તાર છે જ્યાં મોટા પ્રમાણમાં મીઠું બનાવામાં આવે છે.આ ફોટામાં દ્રશ્યમાન થાય છે, પૂનમના દિવસોમાં પાણી બધે જ ફરી વળે છે અને બંદરનો વિસ્તાર એક ટાપુ જેવો લાગે છે અને એક ફરવાલાયક સ્થળ બને છે. હાલ શિયાળો શરુ થઈ ગયો છે તો અહીં ઘણા બધા યાયાવર પક્ષીઓ પણ જોવા મળે છે. ભાવનગર બંદરની ઉત્તરની બાજુએ હાલની બંદરીય સુવિધાઓમાં આમૂલ ફેરફાર કરવામાં આવી રહ્યો છે નવા આયોજન મુજબપોર્ટ બેઝીન માટેની ચેનલ, ડ્રેજીંગ, ઉપરાંત બે લોકગેટસ, કિનારા ઉપર સી.એન.જી.ના પરિવહન માટેનું આંતર માળખું સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 7:40 am

સન્ડે બિગ સ્ટોરી:રખડતા કૂતરાના ત્રાસને અટકાવવા 26 ફીડિંગ ઝોન ઉભા કરાશે

ભાવનગર સહિત સમગ્ર દેશમાં રખડતા કૂતરાઓની સમસ્યા ઊભી થઈ છે અને રખડતા કૂતરાઓના ત્રાસને અટકાવવા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ભાવનગર કોર્પોરેશન દ્વારા પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં વોર્ડ વાઇસ 2 એમ કુલ 26 ફીડિંગ ઝોન બનાવવા પણ આયોજન હાથ ધર્યું છે. એટલે કે, કોર્પોરેશન દ્વારા નિશ્ચિત કરેલ ચોક્કસ જગ્યા પર લોકો કૂતરાઓને ખાવાનું આપી શકશે. સુપ્રીમ કોર્ટ દ્વારા હુકમ અન્વયે રખડતા કૂતરાઓના ત્રાસને અટકાવવા ગુજરાત સરકાર દ્વારા સુપ્રીમના હુકમના અમલીકરણ માટે સઘન ઝુંબેશ હાથ ધરવા પરિપત્ર કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન અને રાજ્ય સરકારના પરિપત્ર મુજબ ભાવનગર કોર્પોરેશન દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે મુજબ કોર્પોરેશન વિસ્તારમાં કે જ્યાં નજીકમાં શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ, બાગ બગીચા, જ્યાં લોકોની અવરજવર ઓછી હોય તેવા જુદા જુદા વિસ્તારોમાં રખડતા કૂતરાઓને ખવડાવવા માટે ફીડિંગ ઝોન ઉભા કરવામાં આવશે. ભાવનગર કોર્પોરેશનમાં એક વોર્ડમાં બે એવા કુલ 26 ફીડિંગ ઝોનની સુવિધા કૂતરાઓ માટે ઉભી કરાશે. જે માટે કોર્પોરેશન દ્વારા જીવદયાપ્રેમીઓ કે જે રખડતા કૂતરાઓની સારવાર અને રખેવાળી કરતા હોય તેઓની મદદથી ફીડિંગ સપોટ નિશ્ચિત કરી રહ્યા છે. તદુપરાંત રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, સરકારી હોસ્પિટલો, શૈક્ષણિક શૈક્ષણિક સંસ્થાઓ, એરપોર્ટ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિતના સ્થળો પર કે જ્યાં લોકોની મોટી સંખ્યામાં અવરજવર હોય તેવા એકમોમાં રખડતા કૂતરાને લઈ કામગીરી કરવા માટે નોડલ ઓફિસરોની પણ નિમણૂક કરવામાં આવશે. આ જગ્યાઓ પર રખડતા કૂતરાઓ પોતાનું કાયમી રહેઠાણ ન બનાવે તે માટે નોડલ ઓફિસરોની જવાબદારી નિશ્ચિત કરાશે. અને કોર્પોરેશન દ્વારા કૂતરા અંગેની ફરિયાદો માટે પણ હેલ્પલાઇન નંબર જાહેર કરશે. જેના પર લોકો કૂતરા અંગેની ફરિયાદ કરી શકશે.આ તમામ કાર્યવાહી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે. ખસીકરણ બાદ કૂતરાઓના બેહાલની નારાજગીકોર્પોરેશન દ્વારા જે એજન્સી મારફત રખડતા કૂતરાઓને પકડી ખસીકરણ કરવામાં આવી રહ્યું છે તેમાં વ્યાપક ફરિયાદો પણ ઉઠી છે. ખસીકરણ કર્યા બાદ કૂતરાઓને અપાતા ભોજન અને ખસીકરણમાં પણ બેદરકારી તેમજ ખસીકરણ બાદ પરત મુકેલા કુતરાઓમાં શારીરિક નુકસાનને કારણે શ્વાન પ્રેમીઓમાં નારાજગી ફેલાયેલી છે. જોકે કોર્પોરેશન દ્વારા પણ બેદરકારી માટે એજન્સી સામે કડકાઇ દાખવામાં આવે છે. 26,000થી વધુ કૂતરાઓનું ખસીકરણભાવનગર કોર્પોરેશન દ્વારા રખડતા કૂતરાઓને પકડી તેનું ખસીકરણ અને રસીકરણ કરવા માટે કોન્ટ્રાક્ટ આપેલો છે વર્ષ 2020 થી શરૂ કરી અત્યાર સુધી 26,654 કૂતરાઓનું ખસીકરણ કરી રસીકરણ કરવામાં આવ્યું છે. તેમજ આ વર્ષે એપ્રિલ 2025થી અત્યાર સુધી 4345 કુતરાઓને પકડી ખસી કરણ કરી રસીકરણ કર્યું છે. જ્યારે 15600 કૂતરાઓને સ્થળ પર જઈ રસીકરણ કરવામાં આવ્યું છે. હાલમાં રોજના 25 થી 30 કૂતરાઓને પકડી ખસીકરણ અને રસીકરણ કરવામાં આવી રહ્યો છે. સુપ્રીમની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી શરૂરખડતા કૂતરાઓના ત્રાસની અટકાવવા માટે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ભાવનગર કોર્પોરેશન દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં વોર્ડ વાઇઝ ફીટીંગ સપોટ, ડેડીકેટેડ હેલ્પલાઇન અને નોડલ ઓફિસરની નિમણૂક માટે પણ પ્રક્રિયા શરૂ છે. -ડો. હિતેશ સવાણી, વેટરનરી ઓફિસર

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 7:39 am

મેયર માવાણીને 3 કિમીનું અંતર કાપતાં 42 મિનિટ લાગ્યા:ડભોલીમાં જાનૈયાઓએ ‘જામ’ કર્યો, મેયર 3 કિમી ટ્રાફિકમાં ફસાઈ રહ્યાં, ડીજેવાળા સામે ગુનો નોંધાયો

સિંગણપોર-ડભોલી રોડ પર શનિવારે ભક્તિ નંદન ફાર્મ પાસે તોતિંગ ટ્રેલરમાં Dj સાઉન્ડ સિસ્ટમ સાથે રોંગ સાઇડમાં નીકળેલી લગ્નની જાનના લીધે 3 કિમી સુધી ટ્રાફિકજામ થતાં તેમાં મેયર દક્ષેશ માવાણી પણ ફસાયા હતાં. 3 કિમીનો રસ્તો પસાર કરતાં મેયરને 42 મિનિટ લાગી હતી. મેયરે કારમાંથી ઉતરી ટ્રાફિક છુટો કરવાનો પ્રયત્ન કર્યો હતો દક્ષેશ માવાણીએ સ્થળ પરથી જ સિંગણપોર પીઆઇને સ્થિતિથી વાકેફ કર્યા હતાં. Dj સિસ્ટમ લઇને રોન્ગ સાઇડ આવેલા ટ્રેલરનાં લીધે ટ્રાફિક જામ થતાં મેયરે ટ્રેલર ચાલક સામે ગુનો દાખલ કરવા રજૂઆત કરી હતી.ત્યાર બાદ પોલીસે ગુનો નોંધ્યો હતો. ટ્રેલર કબજે લીધો છે.લગનસરાના લીધે વિસ્તારના 52 પાર્ટી પ્લોટની બહાર રોજ સાંજે આ સ્થિતિને પહોંચી વળવા 2 ટીમ મોનિટરિંગ કરે છે. વ્યવસ્થા બનાવી રાખવાના પ્રયત્નો વચ્ચે ભક્તિ નંદન ફાર્મ પાસેના ડિવાઇડર કટમાંથી રોન્ગ સાઇડમાં આવેલી લગ્ન જાનના લીધે સમસ્યા વકરી હતી. જોકે ટ્રેલર સામે FIR કરી વાહન સહિતનો સામાન કબજે લેવાયો છે. > Y.B. ગોહિલ, પોલીસ ઇન્સ્પેક્ટર, સિંગણપોર

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 7:34 am

ભૂમિપૂજન:શ્રી શ્યામ મંદિરના નવા ભવનના નિર્માણ કાર્યનું ભૂમિપૂજન કરાયું

વીઆઈપી રોડ સ્થિત શ્રીશ્યામ મંદિર, સુરતમાં નવા ભવનના નિર્માણ કાર્ય માટે શનિવારે સવારે ભૂમિ પૂજન કરવામાં આવ્યું. વેસુ શ્યામ મંદિરની બાજુના પલોટમાં પાંચથી છ માળનું કોરિડોર નિર્માણ કરવામાં આવશે. જેમાં મહોત્સવ વખતે ભક્તો કતારમાં ઊભા રહી શકે તેવી વ્યવસ્થા, પૂજારીઓ અને સ્ટાફ માટે વ્યવસ્થા, કિર્તન હોલ વગેરે સુવિધા ઉભી કરવામાં આવશે. આ અવસર પર શ્યામ સેવા ટ્રસ્ટના અધ્યક્ષ કૈલાશ હાકિમે જણાવ્યું હતું કે, ‘ખૂબ જ જલ્દી નિર્માણ કાર્ય શરૂ થશે. આ નિર્માણ ભક્તોની દરેક સુવિધાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.”

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 7:30 am

રામપાવન ભૂમિ ખાતે દીક્ષા મહોત્સવનું આયોજન:પાલ રામપાવન ભૂમિમાં 21 વર્ષમાં 50 કરોડ નવકાર જાપ, 23 ઉપધાન, 180 દીક્ષા અપાઇ

પાલમાં રામ પાવન ભૂમિ ખાતે આજે ગચ્છાધિપતિ આચાર્ય અભયદેવ સૂરિજી અને આચાર્ય મોક્ષરત્નસૂરિજી સહિતના સાધુ સાધ્વીજીની નિશ્રામાં ત્રિદિવસીય દીક્ષા મહોત્સવનું આયોજન થયું છે જેમાં શનિવારે રથયાત્રા પાલ વિસ્તારમાં ફરી હતી. કુમારી મોક્ષા સંયમ માર્ગ પર જઈ રહી હોય તેને વધાવવા માટે હજારોની મેદની ઉમટી પડી હતી. રવિવારે દીક્ષા મહોત્સવ યોજાશે . 21 વર્ષ પહેલા તપાગચ્છાધિપતિ રામસૂરિશ્વરજી મહારાજ ડહેલાવાળાની અંતિમ ક્રિયા જે સ્થળે કરવામાં આવી તે સ્થળને પાલ તાપી કિનારે રામ પાવન ભૂમિ નામ આપવામાં આવ્યું છે. આજે આ સ્થળ સમગ્ર શહેરના જૈન સમુદાય માટે શ્રદ્ધા કેન્દ્ર બની ગયું છે. તેમના પછી ડહેલાવાળા જૈન સમુદાયમાં અભયદેવસૂરીજી મહારાજને તપાગચ્છની પદવી આપવામાં આવ્યા બાદ તેમને પાલીતાણા તીર્થના મુખ્ય કાર્યવાહક તરીકે ઘોષિત કરાયા તેમણે 13 વર્ષ પહેલા કરોડોના ખર્ચે પાલીતાણા શહેરને ડેવલોપ કર્યું હતું. આ ભૂમિમાં 21 વર્ષમાં 50 કરોડ નવકાર મહામંત્રનો જાપ થયો છે. 23 ઉપધાના કાર્યક્રમોમાં 6,000થી વધારે આરાધકોએ 47 દિવસ સુધી સાધુ જીવન જીવીને ધર્મની આરાધના કરી છે. 180 દીક્ષા થઈ છે. 25થી વધારે અન્ય અને આચાર્યને પદ અર્પણ થયા છે. ગચ્છાધિપતિ રામસૂરિશ્વરજીની અંતિમ ક્રિયા સ્થળને રામ પાવન ભૂમિ તરીકે વિકસાવાઇઆચાર્ય મોક્ષરત્નસૂરિજી મહારાજે જણાવ્યું હતું કે રામપાવન ભૂમિ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ ડહેલા વાળા સમુદાયની હોવા છતાં પણ અહીં ચારેચાર ફિરકાઓના મહોત્સવ આયોજિત કરવામાં આવે છે. દિગંબર અને તેના પણ સમુદાયમાં સાધુ માઈક અને ઈલેક્ટ્રીક ઉપકરણોનો ઉપયોગ કરે છે પરંતુ અહીં કાર્યક્રમ હોય ત્યારે અહીંના નિયમ પ્રમાણે માઇકનો ઉપયોગ કરી શકાતો નથી. 64 વર્ષ સાધુ જીવનમાં 40 વર્ષથી આચાર્ય77 વર્ષીય અભયદેવ સુરીશ્વરજી મહારાજે મુંબઈનું વૈભવી જીવન છોડીને 12 વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. તેઓએ માત્ર સાત વર્ષની ઉંમરે ત્રણ હિન્દી ફિલ્મોમાં બાળ કલાકારની ભૂમિકા પણ કરી હતી. 64 વર્ષના સાધુ જીવનમાં 40 વર્ષથી આચાર્ય પદ ધરાવે છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 7:30 am

દારૂની હેરાફેરી ઝડપાઈ:કોમ્પ્યુટરની દુકાને મુંબઇથી પાર્સલ આવ્યા,ખોલતા લાખોનો દારૂ હતો

નાનપુરા ખાતે અમિત અગ્રવાલ કેડીયા કોમ્પ્યુટરના નામે દુકાન ધરાવે છે. .5મી ડિસેમ્બરે તેમની દુકાને તુરંથ ટ્રાન્સપોર્ટમાંથી 3 પાર્સલ આવ્યા હતા. જે અમિતે મંગાવ્યા ન હતા. શંકા જતા ડિલીવરી મેનને રોકીને તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. અઠવા પોલીસે સ્થળ પર જઇ ટ્રાન્સપોર્ટના મેનેજર મો.મલીક શેખને બોલાવી તેની હાજરીમાં પાર્સલ ખોલતા તેમાંથી ઇમ્પોર્ટેડ દારૂની રૂ.3,33,040ની કિંમતની 22 બોટલો નીકળી હતી. પોલીસ તપાસમાં ઇન્વોઇસ અને ડીલીવરી ચલણમાં મોકલનાર તરીકે પ્રો. ઓફિસ સોલ્યુશન એલ.એલ.પી (રહે, સેક્ટર 11, સીબીડી બેલાપુર નવી મુંબઇ)ના નામ હોવાનું માલુમ પડ્યું હતું. જ્યારે અમિત અગ્રવાલે આવું કોઇ પાર્લસ મંગાવ્યું ન હોવાનું જણાવ્યું હતું. બનાવ અંગે અઠવાલાઇન્સ પોલીસે ખાટા દસ્તાવેજ બનાવવા અને પ્રોહિબિશનનો ગુનો નોંધી તપાસ આદરી છે. પાર્સલમાં એડ્રેસ દુકાનનું હતું પણ ફોન નંબર બીજાનો હતોમુંબઇથી આવેલા પાર્સલમાં કેડીયા કોમ્પ્યુટરનું સરનામું હતું. પણ મોબાઇલ નંબર બીજો હતો. સ્થળ જઇને ડિલિવરી મેને આપેલા નંબર પર ફોન કર્યો હતો. જ્યારે સામેથી તમે ત્યાંથી ડિલિવરી પરત લઇ લો અને મારા ગોડાઉન પર આવી દો, જ્યારે ડિલિવરી મેને ના પાડતા તેને એક્સ્ટ્રા ચાર્જ આપવાનું કહ્યું પણ તેણે દુકાન પર જ ડિલિવરી કરવાનું કહીને પાર્સલ આપ્યો અને દારૂ પકડાયો હતો.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 7:28 am

કૃષિ સહાય પેકેજ:કમોસમી વરસાદથી નુકસાનમાં 5589 ખેડૂતોને 11.27 કરોડ વળતર અપાયું

ઓક્ટોબરમાં પડેલા કમોસમી વરસાદથી થયેલી પાક નુકશાની માટે રાજય સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજ જાહેર કરાયું હતું. સુરત જિલ્લાના ખેડુતો પાસેથી કૃષિ સહાય પેકેજ હેઠળ સહાય મેળવવા અરજીઓ મંગાઇ હતી. 5 ડિસેમ્બરની સ્થિતિએ 19295 અરજીઓ પૈકી 5589 ખેડુતોના ખાતામાં 11.29 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. સુરત જિલ્લા ખેતીવાડી અધિકારી સતીષ ગામીતે કહ્યું હતું કે, ‘રાજય સરકાર દ્વારા અરજી થયાના માત્ર 10 દિવસમાં જ ઝડપથી ચુકવણું કરાયું છે. આગામી અઠવાડિયામાં સહાયની તમામ રકમ ખેડુતોના ખાતામાં જમા થઈ જશે. બારડોલીમાંથી આવેલી 544 અરજીઓ પૈકી 239 ખેડુતોને 41.83 લાખની સહાય, ચોર્યાસી અને સુરત સીટીના તાલુકામાંથી 422 અરજીઓ પૈકી 41 ખેડુતોને 11.31 લાખ, કામરેજની 112 અરજીઓ પૈકી 54 અરજદારોને 9.49 લાખની સહાય, મહુવા 2585 અરજીઓ પૈકી 1079 ખેડુતોને 1.75 કરોડ, માંડવી તાલુકાના 3732 અરજીઓ પૈકી 1097 ખેડુતોને 1.59 કરોડ, માંગરોળ તાલુકાના 2564 અરજીઓ પૈકી 316 ખેડુતોના ખાતામાં 77.71 લાખ, ઓલપાડમાંથી આવેલી 5941 અરજીઓ પૈકી 2006 ખેડુતોના ખાતામાં 4.91 કરોડ, પલસાણાની 257 અરજીઓ પૈકી 86 ખેડુતોને 23.56 લાખ, ઉમરપાડાની 3138 અરજીઓ પૈકી 643 ખેડુતોના ખાતામાં 1.37 કરોડ રૂપિયાની સહાય જમા કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 7:28 am

નોકરી ન્યૂઝ:આજથી CGPDTMમાં 102 પદ માટે અરજી કરી શકાશે, પગાર રૂ. 1.25 લાખ

યુજીસી દ્વારા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સ (CGPDTM)માં વિવિધ પોસ્ટો માટેની ભરતી જાહેર કરાઇ છે. 102 જગ્યા માટે ઓનલાઇન અરજી કરી શકાશે, જેમાં 100 પોસ્ટ્સ ટ્રેડમાર્ક અને જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન્સ (GI) એગ્ઝામિનર માટે અને 2 જગ્યા ડિપ્ટી ડિરેક્ટર (એગ્ઝામિનેશ ન રિફોર્મ્સ) માટે છે. ટ્રેડમાર્ક અને GI એગ્ઝામિનર માટે ઉમેદવાર પાસે લોની ડિગ્રી હોવી જરૂરી છે અને ઉંમર 21 થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ. ડેપ્યુટી ડિ રેક્ટર પદો માટે વિશિષ્ટ લાયકાત મુજબ પસંદગી થશે. SC/ST/OBC/EWS અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા ઉમેદવારો માટે આરક્ષણ લાગુ પડશે. ચોઇસ પ્રોસેસમાં પ્રાથમિક (ઓબ્જેક્ટિવ) અને લેખિત પરીક્ષા, ત્યારબાદ ઈન્ટરવ્યુ અને ડોક્યુમેન્ટ ચેકિંગ દ્વારા થઈ શકે છે. પગાર બેઝિક રૂ. 56,100 પ્રતિ મહિનો છે, જ્યારે કુલ પેકેજ રૂ.1,00,000 – રૂ. 1,25,000 સુધી હોઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 7:27 am

ચેમ્બરે રાહત આપવા કેન્દ્રિય રિન્યુએબલ એનર્જીના મંત્રીને પત્ર:સરકારના પરિપત્રને કારણે ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પ્રોજેક્ટો પર બ્રેક

સરકારની નીતીને કારણે ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પ્રોજેક્ટો નાંખવા પર બ્રેક લાગી ગઈ છે. કારણે સરકારે પરિપત્રમાં કહ્યું છે કે, 1 જૂન પછી જે પણ પ્રોજેક્ટ લાગશે તેમાં ભારતમાં બનેલા સોલાર સેલમાંથી બનેલી પેનલ હોવી ફરજિયાત છે. પરંતુ આયાત થતાં સોલાર સેલ અને ભારતમાં બનેલા સોલાર સેલવાળી 1 મેગાવોટ સોલાર પેનલના ભાવમાં 80 લાખ રૂપિયાનો તફાવત હોવાથી ઉદ્યોગકારો આ પ્રોજેક્ટ નાંખવાનું બંધ કરી દીધું છે. જેને લઈને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કેન્દ્રિય રિન્યુએબલ એનર્જીના મંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે કે, જ્યાં સુધી બંને પેનલના ભાવ સરખા ન થાય ત્યાં સુધી રાહત આપવામાં આવે. દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો છેલ્લા કેટલાક વર્ષોમાં ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે મોટા પાયે સોલાર એનર્જીનો ઉપયોગ કરી રહ્યા છે. જેનાથી ટેક્સટાઇલ, ડાયમંડ, ઇજનેરિંગ સેક્ટરમાં વીજવપરાશ ઘટ્યો છે. ‘દેશી પેનલના ભાવ નીચા ન આવે ત્યાં સુધી પોલિસી ન લાવો’રણે ઉદ્યોગકારોએ સોલાર ગ્રાઉન્ડ માઉન્ટેડ પ્રોજેક્ટ નાંખવા પર બ્રેક મારી દીધી છે. કારણ કે, સરકારે એવો નિયમ બનાવ્યો છે કે, 1 જૂન પછી જે પ્રોજેક્ટ શરૂ થશે તેમાં ડિસીઆર સોલાર પેનલ (ભારતમાં બનેલા સોલાર સેલથી બનેલી પેનલ)નો જ ઉપયોગ થયેલો હોવો જોઈએ. 1 મેગાવોટ ડિસીઆર પેનલ અને નોનડિસીઆર પેનલના ભાવમાં 80 લાખ રૂપિયાનો તફાવત છે. > બી.એસ અગ્રવાલ, ચેમ્બર માજી પ્રમુખ

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 7:25 am

ભાસ્કર ઇમ્પેક્ટ‎:રિંગ રોડ બ્રિજ પર 60 ફૂટમાં બનાવેલા 3 બમ્પ તોડી પડાયા

રિંગરોડ ફલાય ઓવરબ્રિજ પર પાલિકાની પૂર્વ મંજૂરી વગર જ સીટકો કંપનીએ બનાવી દીધેલાં જોખમી સ્પીડ બ્રેકર શનિવારે ઝોન દ્વારા તોડી પડાયા હતા. મોટી દુર્ઘટના બને તે પહેલાં ‘દિવ્ય ભાસ્કર’એ પ્રસિદ્ધ કરેલા અહેવાલને પગલે પાલિકાએ સ્પીડબ્રેકર હટાવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 7:23 am

સન્ડે ફોટો સ્ટોરી:તળાવના પાણીમાં ઊગે છે શિયાળાનો સ્વાદ, હોડકામાં બેસી રોજ 80 કિલો શિંગોડા કાઢે છે

સુરત : શિયાળાની શરૂઆત થતાં જ સિઝનમાં આવતા શિંગોડાની લોકો લિજ્જત માણતા હોય છે. ગણદેવી ગામના તળાવમાં વર્ષોથી શિંગોડાની ખેતી કરવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં નવસારીના કછોલી, ધનોરી, અબ્રામા, સાહુ, હરીધામણ સહીત ગણદેવીમાં આ શિંગોડાની ખેતી વધુ થાય છે. ગણદેવીના રહેજ ગામના સરપંચ મુકેશ પટેલના જણાવ્યા અનુસાર જૂન મહિનામાં બીના ભાગરૂપે પાટોડીના વેલા તળાવમાં નાખવામાં આવે છે. જેમાં ફુલો લાગતા ઓક્ટોબરથી જાન્યુઆરી સુધી પાક લેવામાં આવે છે. તે વિટામિન B6, પોટેશિયમ, ફાઇબર અને એન્ટીઑકિસડન્ટથી ભરપૂર હોય છે. તેમાં કુદરતી રીતે ચરબી ઓછી હોય છે અને ગ્લુટેન-મુક્ત હોય છે, જે તેને એક સ્વસ્થ મોસમી ખોરાકની પસંદગી બનાવે છે. તેનો તાજગીભર્યો સ્વાદ તેને સ્વાદિષ્ટ અને સંતોષકારક બનાવે છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 7:16 am

નવું નિયોજન:બે વખત નામવાળા મતદારોની ચકાસણી હવે ફોટો પ્રમાણે કરવાનું નિયોજન કરાયું

મતદાન કેન્દ્ર પ્રમાણે યાદી આગામી 22 ડિસેમ્બરના જાહેર કરવામાં આવશે. એના માટે બે વખત નામવાળા મતદારોની ચકાસણી કરવા મહાપાલિકાની મથામણ ચાલુ છે. દરેક વોર્ડમાં મતદારોના ફોટો અનુસાર ચકાસણી કરવાનું નિયોજન કરવામાં આવ્યું છે અને વોર્ડ કાર્યાલયમાં વિશેષ યંત્રણા ઊભી કરવામાં આવી છે. બે વખત નામવાળા મતદારોમાં મોટા ભાગે સરખા નામવાળાનો સમાવેશ વધારે હોવાનો અંદાજ હોવાથી 11 લાખ જેટલી મતદાર સંખ્યા ઓછી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે. આગામી 10 ડિસેમ્બર સુધી 11 લાખ આવા મતદારોની ફોટો પ્રમાણે ચકાસણી કરવાનો પડકાર મહાપાલિકા સમક્ષ છે. દરમિયાન વોર્ડના હદમાં ઈમારત, ચાલી અથવા મતદારનું નામ બીજા વોર્ડમાં હોય તો એમાં અગ્રતાથી સુધારો કરવામાં આવશે. મહાપાલિકાની વોર્ડ પ્રમાણે મતદારયાદીમાં 11 લાખ 1 હજાર 505 બે વખત નામવાળા મતદાર જણાયા છે. આ મતદારોની ચકાસણી કરવા મહાપાલિકા કર્મચારીઓએ મતદારોને ઘરે જઈને ચકાસણી શરૂ કરી હતી. જો કે આ પ્રક્રિયામાં ટેકનિકલ અડચણ ઊભી થવાથી મહાપાલિકાએ એરિયા પ્રમાણે મુલાકાત કરવાનું અત્યારે અટકાવ્યું છે. આવા મતદારો બાબતે તાજેતરમાં મહાપાલિકાના એ વોર્ડમાં નમૂના પરીક્ષણ કરવામાં આવ્યું. મૃત મતદારનું નામ બાકાતવિવિધ રાજકીય પક્ષો તરફથી મોટા ભાગના મતદાર મૃત હોવાનો વાંધો નોંધાવીને તેમના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવાની સૂચના કરવામાં આવી છે. જો કે એની ચકાસણી કરવા માટે સંબંધિત વોર્ડના સહાયક આયુક્ત મતદારોના કુટુંબીઓ સાથે સંપર્ક કરશે. એ પછી કુટુંબીઓએ 12 ડિસેમ્બર સુધી મતદારનું મૃત્યુ પ્રમાણપત્ર મહાપાલિકાની મધ્યવર્તી ચૂંટણી શાખા પાસે રજૂ કરવાનું રહેશે. એ પછી મતદારનું નામ કાઢી નાખવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 7:13 am

ક્રિકેટ અને ગ્લેમરનો અનોખો સંગમ જોવા મળ્યો:ડોંબિવલી ખાતે MCCL સ્પર્ધા માટે ફિલ્મ કલાકારો મેદાનમાં

ડોંબિવલી જિમખાના ગ્રાઉન્ડ પર ક્રિકેટ અને ગ્લેમરનો અનોખો સંગમ જોવા મળ્યો. 80થી વધુ ફિલ્મ કલાકારો બે દિવસની ક્રિકેટ મેચ માટે એકત્ર આ ય છે. મરાઠી સેલિબ્રિટી ક્રિકેટ લીગ (એમસીસીએલ) અંતર્ગત શનિવાર- રવિવારે આ આયોજન ભાજપ મહારાષ્ટ્ર પ્રદેશના પ્રદેશાધ્યક્ષ રવીંદ્ર ચવ્હાણ દ્વારા કરાયું છે. ડોંબિવલીકર- એક સાંસ્કૃતિક પરિવારની સંકલ્પનામાંથી તે સાકાર કરવામાં આવ્યું છે.ફિલ્મ સૃષ્ટિ ઘડનારા 8 દિગ્ગજ મહાનુભાવોને આદરાંજલી તરીકે તેમને નામે ટીમો બનાવવામાં આઅવી હતી. ડોંબિવલીમાં ફક્ત ક્રિકેટ, ઉત્સાહ, કલાકારોની ધમાલ અને મનોરંજનનો ઝંઝાવાત જોવા મળી રહ્યો છે. મેદાનમાં કલાકારોની ફિલ્ડિંગ, બેટિંગ, ચોગ્ગા- છગ્ગાની વર્ષા અને એકબીજાની મૈત્રીપૂર્ણ ટક્કર સર્વ પ્રેક્ષકો માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહ્યો છે.દરેક ટીમ પોતાના નામ જોડાયેલા મહાન દિગ્ગજોને સન્માન આપતાં મેદાનમાં ઊતરવાની હોવાથી સ્પર્ધાને ભાવનાત્મક અને સાંસ્કૃતિક રંગ પણ મળ્યો છે. આ સૌથી મોટી ફિલ્મ સેલિબ્રિટી ક્રિકેટ લીગ ઠરશે. ડોંબિવલીકર ટ્રોફી રોમાંચક લડત પ્રેક્ષકો માટે અવિસ્મરણીય પર્વ બની રહેશે, એમ ચવ્હાણે જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 7:12 am

હજી 21 લાખ મેટ્રીક ટન કચરા પર પ્રક્રિયા કરવાનું બાકી:ડમ્પિંગ ગ્રાઉન્ડના કચરાનો નાશ કરવાના પ્રકલ્પને મુદત વધારો

મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડના કચરાના ડુંગરનો શાસ્ત્રોક્ત પદ્ધતિથી નાશ કરીને જમીન ફરીથી મેળવવા માટે બીજી વખત મુદતવધારો આપવામાં આવ્યો. જૂન 2025ની મુદત ચૂકી જવાથી હવે કોન્ટ્રેક્ટરને ફેબ્રુઆરી 2026ની મુદત આપવામાં આવી છે. અત્યાર સુધી ડમ્પિંગ ગ્રાઉન્ડના કચરાનો નાશ કરવાનું કામ 68 ટકા થયું છે. મહાપાલિકાના ડમ્પિંગ ગ્રાઉન્ડની ક્ષમતા પૂરી થવાથી આ ડમ્પિંગ ગ્રાઉન્ડ શાસ્ત્રોક્ત પદ્ધતિથી બંધ કરવાનો આદેશ કોર્ટે આપ્યો છે તેથી મહાપાલિકાએ મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડ બંધ કરવાનું નક્કી કર્યું છે. જો કે પ્રકલ્પનું કામ ધીમી ગતિએ ચાલુ છે. આ ડમ્પિંગ ગ્રાઉન્ડ પર છેલ્લા અનેક વર્ષોથી સચવાયેલા કચરાનો શાસ્ત્રોક્ત પદ્ધતિથી નાશ કરીને જમીન ફરીથી મેળવવા માટે મહાપાલિકાએ જૂન 2018માં કોન્ટ્રેક્ટર નિમીને વર્કઓર્ડર આપ્યો હતો. વર્કઓર્ડર આપ્યા પછી લાંબા સમય સુધી આ ડમ્પિંગ ગ્રાઉન્ડ પર કચરો સ્વીકારવામાં આવતો હતો. વિવિધ પરવાનગીઓના કારણે પ્રકલ્પ શરૂ થવામાં વિલંબ થયો હતો. વળી કોરોના અને લોકડાઉનના લીધે મનુષ્યબળ ન હોવાથી આ પ્રકલ્પના કામમાં વિલંબ થયો હતો.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 7:12 am

સાકર કારખાના, બેંકો, બજાર સમિતિઓની ચૂંટણીને ફટકો પડશે:મહાયુતિમાં વિવાદને ધ્યાનમાં લઈને કોઓપરેટિવ સંસ્થાઓની ચૂંટણી મોકૂફ

નગરપાલિકા, નગરપંચાયત ચૂંટણી દરમિયાન મહાયુતીના ઘટક પક્ષોમાં વિવાદ વકર્યો હોવાનું ધ્યાનમાં લેતા રાજ્યની કોઓપરેટીવ સંસ્થાની ચૂંટણી ઠેલવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. એનો ફટકો રાજ્યના સાકર કારખાના, બેંકો, બજાર સમિતિઓની ચૂંટણીને પડશે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીનું બ્યુગલ વાગી રહ્યું છે ત્યારે ટૂંક સમયમાં મહાપાલિકા, જિલ્લા પરિષદની ચૂંટણી થશે. એમાં કોઓપરેટીવ સંસ્થાની જિલ્લા બેંકો, સાકર કારખાના, બજાર સમિતિઓ, સહકારી સંઘ, પાવરલૂમ જેવી સંસ્થાઓની ચૂંટણી ચાલુ હતી. કેટલીક સંસ્થાઓની ચૂંટણીની ટૂંક સમયમાં ઘોષણા થવાની હતી. સહકારી સંસ્થાની ચૂંટણીમાં પક્ષ અંતર્ગત કાર્યકર્તાઓ મોટા પ્રમાણમાં દાવેદાર હોય છે. તેમને તક ન મળે તો તેની નારાજગીનો ફટકો સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને પડી શકે છે. તેમ જ મહાયુતીમાં પણ અત્યારે મતભેદ સપાટી પર હોવાથી કોઓપરેટીવ સંસ્થાની ચૂંટણી નિમિત્તે આ વિવાદ હજી વકરે નહીં એ માટે કોઓપરેટીવ સંસ્થાઓની ચૂંટણી જ સ્થગિત કરવાનો નિર્ણય સરકારે લીધો છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 7:11 am

કાર્યવાહી:ઊઠબેસથી મૃત્યુ પ્રકરણે 3 શિક્ષણ અધિકારી સસપેન્ડ

વસઈ વિસ્તારમાં એક શાળામાં 100 ઉઠક-બેઠકની સજા આપવાના ગંભીર પ્રકરણ બાદ જીલ્લામાં શિક્ષણતંત્રની બેદરકારી સામે મોટો પ્રશ્નચિન્હ ઊભો થયો છે. સતિવલી, વસઈ (પૂર્વ) સ્થિત શ્રી હનુમંત વિદ્યામંદિર શાળામાં વિદ્યાર્થીઓને મોડા પહોંચવા બદલ આપવામાં આવેલી આ કઠોર સજાના કારણે એક 13 વર્ષીય વિદ્યાર્થિનીના મૃત્યુ બાદ સમગ્ર પાલઘર જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. અહેવાલો મુજબ, શિક્ષકે એક જૂથની વિદ્યાર્થીઓને 100 ઊઠબેસ કરવાની સજા ફરમાવી. છઠ્ઠા ધોરણની એક વિદ્યાર્થિની આ ભારે શારીરિક સજા દરમિયાન બેહાલ થઈ પડી અને તેની તબિયત અત્યંત બગડી. તેને તરત જ મુંબઈની જે.જે. હોસ્પિટલમાં ખસેડવામાં આવી, પરંતુ 15 નવેમ્બરે સારવાર દરમિયાન તેનું અવસાન થયું. આ ઘટનાને પગલે વાલિવ પોલીસે શિક્ષકને અરેસ્ટ કરી કેસ દાખલ કર્યો. આ ઘટનાના રોષ વચ્ચે પાલઘર જિલ્લા પરિષદે કડક વલણ દાખવતા વસઈના ત્રણ વરિષ્ઠ શિક્ષણ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા. મુખ્ય કાર્યકારી અધિકારી મનોજ રાણડેને ફરજમાં બેદરકારી અને ઘટનાની સમયસર જાણ ન કરવા બદલ સસ્પેન્શન આદેશો જારી કર્યા. વિદ્યાર્થિનીના મોત બાદ તપાસમાં ગેરકાયદેસર કામગીરીનો ખુલાસો થયોવિદ્યાર્થીની મૃત્યુ બાદ, જિલ્લા શિક્ષણ વિભાગે આ મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરી.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 7:10 am

ભાગવત-અમિત શાહને હસ્તે 12 ડિસે.પ્રતિમાનું અનાવરણ:આંદામાન અને નિકોબાર ટાપુ પર દેશભક્તિની ઉજવણી

સાગરા પ્રાણ તળમળલા ગીતે અસંખ્ય ભારતીયોના મનમાં દેશભક્તિની જ્વાળા પ્રગટાવી છે. સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકરે આ પ્રતીકાત્મક કવિતા લખી તેને 116 વર્ષ પૂર્ણ થયાં છે. આ ઐતિહાસિક અવસરે વેલ્યુએબલ ગ્રુપ દ્વારા 12 ડિસેમ્બરે બપોરે 3.00 વાગ્યાથી શ્રી વિજયા પુરમ, પોર્ટ બ્લેર ખાતે સાગરા પ્રાણ તળમળલા ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ અ સરે સ્વાતંત્ર્યવીર સાવરકરની મનોહર પ્રતિમાનું સમુદ્ર પાસે બેઉદાનાબાદ ખાતે અનાવરણ કરાશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો. મોહન ભાગવતને હસ્તે આ અનાવરણ વિધિ પાર પડશે. પ્રતિમાની સંકલ્પના મુંબઈ સ્થિત વેલ્યુએબલ ગ્રુપના સંસ્થાપક અમેયા હેટે દ્વારા કરવામાં આવી છે. આ સ્મારક સાવરકરની અતૂટ દેશભક્તિ, ત્યાગ અને નીડર વિચારધારાનું સ્વર્ણિમ પ્રતીક તરીકે ઊભી રહેશે. પ્રતિમા મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર વિજેતા રામ સુતાર દ્વારા ડિઝાઈન અને સાકાર કરવામાં આવી છે.મહારાષ્ટ્રમાં સાંસ્કૃતિક બાબતો અને આઈટી મંત્રી આશિષ શેલાર સન્માનનીય અથિથિ તરીકે હાજર રહેશે. ઉપરાંત આ અવસરે પદ્મશ્રી પં. હૃદયનાથ મંગેશકર, ઉષા મંગેશકર, રણદીપ હૂડા, ડો. વિક્રમ સંપથ અને શરદ પોંક્ષે હાજર રહેશે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 7:10 am

એક દેશ એક કાનૂનની માંગ સાથે બંધ:ભેદભાવ સામે વેપારીઓ લાલ ઘૂમ

નવી મુંબઈ મરચન્ટ ચેમ્બર તથા 130 વર્ષ જૂની ધી બોમ્બે મૂડીબજાર કરિયાણા મર્ચન્ટ એસોસિએશને રાજ્ય સરકાર સામે તીવ્ર અસંતોષ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, મહારાષ્ટ્રની 305 માર્કેટમાં અસમાનતા, ભેદભાવ અને જૂના કાયદાઓના કારણે વેપારીઓ સતત પીડાઈ રહ્યા છે. કૃષિ વેપાર સાથે સંકળાયેલા વેપારીઓએ શુક્રવારે સંપૂર્ણ બંધ રહ્યો, આને વેપારીઓએ સરકારનો ખુલ્લો અન્યાય ગણાવ્યો. વેપારીઓના જણાવ્યા મુજબ, ઈ-કોમર્સના સમયમાં પણ પરંપરાગત કૃષિ બજારો પર મલ્ટીપલ માર્કેટ ફી, જુદા જુદા દરો, અલગ અલગ નિયમો તથા જૂના કાયદા આજે પણ લાદવામાં આવે છે. તેથી સરકારની નીતિઓ વેપારને અવરોધી રહી છે, અને લોકપ્રતિનિધિઓ તથા પૂર્વ રાજકીય આગેવાનોના કાયમી દબાણને કારણે બોર્ડમાં ભ્રષ્ટાચાર ફેલાયો છે, એવો આક્ષેપ કરવામાં આવ્યો છે. ધી બોમ્બે મૂડીબજાર કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના અધ્યક્ષ કિર્તિભાઈ રાણાએ સ્પષ્ટ કર્યું કે, એક રાજ્ય એક કાયદો તાત્કાલિક અમલમાં લાવવો જરૂરી છે. અનેક મુદ્દાઓમાં અલગ અલગ મત કરતાં એક જ મુદ્દા પર લડત જરૂરી છે, એક દેશ, એક કાયદો, જેથી તમામ માર્કેટોને ફ્રીહોલ્ડ કરી શકાય અને એપીએમસીની હેરાનગતિનો અંત આવે. વેપારીઓએ વધુમાં જણાવ્યું કે, જો વેપારમાં જીએસટી લાગુ છે, તો કૃષિ માલસામાન પર અન્ય કોઈ વધારાના કરો લગાડવા ન જોઈએ અને વ્યાપારને સંપૂર્ણ મુક્તતા આપવી જોઈએ. એક દિવસના બંધથી સરકાર જાગતી નથી, તેથી બેમુદત બંધનું એલાન કરવાની જરૂર છે, એવી ચેતવણી પણ આપવામાં આવી. ભારત સરકાર, મુખ્યમંત્રી અને તમામ સાંસદોને સીધી અપીલ કરતા વેપારીઓએ માગણી કરી છે કે જૂના અને કાલબાહ્ય કાયદા દૂર કરી વેપારક્ષેત્ર માટે એકસરખો, પારદર્શક અને સમાન કાનૂન બનાવવામાં આવે. જ્યારે જીએસટીનો ટેક્ષ અમલમાં આવ્યો ત્યારે આ વાત વેપારીઓને કહેવામાં આવી હતી કે, હવે એક જ ટેક્ષ માળખુ રહેશે, પરંતુ હજુ એપીએમસી માર્કટને માટે અન્ય સેસ અને વેરા લાગુ કરાયા છે, જે તર્ક સંગત નથી. આ મામલો 2023થી શરૂ છે, છતાં મહારાષ્ટ્ર સરકારે આ મામલાને ગંભીરતાથી લીધો નથી એથી છેવટે વેપારીઓને આકરા પગલા લેવાની ફરજ પડી રહી છે, એમ રાણાએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 7:09 am

ઉદ્ધવ ઠાકરેએ રાજ્યની મહાયુતી સરકાર પર કટાક્ષ કર્યો:મહારાષ્ટ્રમાં પહેલી વાર બંને ગૃહ વિપક્ષના નેતા વિના ચાલે છે

શિવસેના (યુબિટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રાજ્યની મહાયુતી સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે, મહારાષ્ટ્ર વિધાનસભામાં તાત્કાલિક વિરોધ પક્ષના નેતા(એલઓપી) ની નિમણૂંક કરવી અનિવાર્ય છે. તેમણે કહ્યું કે, રાજ્યના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે વિધાનસભા અને વિધાન પરિષદ બંને ગૃહો વિપક્ષના નેતા વિના કાર્યરત છે, અને આ લોકશાહી માટે ગંભીર ઘાતક છે. મુંબઈ અને ઉપનગરોમાં અનેક ભૂતપૂર્વ કોર્પોરેટરો તથા ભાજપ- એનસીપી કાર્યકરોના સેનામાં પ્રવેશ બાદ ઠાકરેએ સરકાર પર વિપક્ષથી ડરવાની વૃત્તિનો આરોપ લગાવ્યો. તેમના મુજબ, એલઓપી પદ માટેની માગણી અગાઉની જ સત્રમાં કરવામાં આવી હતી, પરંતુ આખું વર્ષ વીતી ગયા છતાં સરકારએ કોઈ નિર્ણય નથી લીધો. જાહેરાતો અને રાજકીય નિવેદનો સિવાય સરકારે કંઈ કર્યું નથી. લોકશાહી બચી રહે તે માટે બંને ગૃહોમાં તરત એલઓપી હોવો જ જોઈએ, એમ તેમણે કહ્યું. ઠાકરેએ સરકારની દલીલ પર પણ પ્રહાર કર્યો કે જો બંધારણીય કારણો બતાવી એલઓપીની નિમણૂક અટકાવવામાં આવી રહી હોય, તો પછી બંધારણીય આધાર ન ધરાવતા ઉપ મુખ્યમંત્રીના પદો રદ્દ કરવા જોઈએ.સરકારની આંતરિક ખીચાતાણ પર ચાબખા મારતાં ઠાકરેએ કહ્યું કે મહાયુતીની ત્રણેય પાર્ટીઓના નામ–ચિહ્ન અલગ છે, પરંતુ તેમનો માલિક એક જ છે. ભાજપની એનાકોન્ડા વ્યૂહરચના શિંદે જૂથ અને એનસીપીને ગળી રહી છે, એમ તેમણે ટિપ્પણી કરી. આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલાં મતદાર યાદીની ગડબડ પર પણ તેમણે ચિંતા વ્યક્ત કરી. મુંબઈ સહિત અનેક શહેરોમાં ભારે અનિયમિતતાઓ છે. કોઈ ધ્યાન નથી આપતું. સુપ્રીમ કોર્ટને હસ્તક્ષેપ કરવો જોઈએ, એમ તેમણે કહ્યું.કાંઠે ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને રાહત પહોંચાડવામાં થયેલી સરકારી વિલંબની પણ તેમણે ટીકા કરી. ઠાકરેએ અંતમાં આક્ષેપ કર્યો કે, સરકાર શાસન કરતાં વધુ ચૂંટણી કબજે કરવાની ચિંતા કરે છે, જ્યારે વિપક્ષના નેતા વિના ગૃહો ચલાવવું લોકશાહી માટે ખતરનાક સંકેત છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 7:07 am

કોર્ટ દ્વારા સજા:9 વર્ષની બાળાની હત્યા સંબંધે મહિલા નિર્દોષ પણ પુરાવા નષ્ટ કરવા માટે સજા

9 વર્ષની બાળકીની હત્યા સંબંધે થાણે કોર્ટે મહિલાને નિર્દોષ જાહેર કરી હતી, પરંતુ બાળકીના મૃત્યુ સંબંધમાં પુરાવાનો નાશ કરવા માટે તેને અને સહ- આરોપીને ત્રણ વર્ષની સખત કેદ ફટકારી હતી. બાળકીનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો, જેથી પોસ્ટમોર્ટમનો અહેવાલ બાળકીના મૃત્યુનો સંકેત આપતો નથી. આથી બાળકી કઈ રીતે મૃત્યુ પામી તે ફરિયાદ પક્ષ સિદ્ધ કરી શક્યો નથી, એમ ગુરુવારે ચુકાદામાં એડિશનલ સેશન્સ જજ એ એસ ભાગવતે જણાવ્યું હતું, આદેશની નકલ શનિવારે ઉપલબ્ધ થઈ હતી.બાળકીને ભણાવવાને બહાને છત્રપતિ સંભાજીનગરથી આરોપી અનિતા રાઠોડ (40) અને હવે મૃતક તેના પતિ પ્રકાશ સાથે રહેવા માટે ઉત્તનમાં લાવવામાં આવી હતી. પ્રકાશ બાળકીની માતાનો સંબંધી હતો, જેણે આ કેસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ પક્ષનો આરોપ હતો કે દંપતીએ બાળકીને ઘરનાં કામો કરાવવાનું શરૂ કર્યું હતું. બાળકી કામ બરોબર કરતી નહીં હોવાથી અને કપડાંમાં જ શૌચ કરતાં ગુસ્સામાં તેનું ગળું દબાવીને મારી નાખવામાં આવી હતી. આ કેસમાં ચાર્જશીટ દાખલ કરાય તે પૂર્વે જ પ્રકાશે આત્મહત્યા કરી લીધી હતી.બાળકીના મૃત્યુ અંગે ચુકાદામાં કોર્ટે નોંધ્યું કે ઘટનાને નજરે જોનારો કોઈ સાક્ષીદાર નથી. વળી, કોર્ટે બાળકી પર અત્યાચાર ગુજારાતો હતો તે અંગેના પુરાવા અવિશ્વસનીય હોવાનું જણાવ્યું હતું. ખાસ કરીને સાક્ષીદારો બાળકીની મારપીટ સમયે મોજૂદ નહોતા, એવી નોંધ કરી હતી. કોર્ટે જણાવ્યું કે બાળકી પર હુમલો, શોષણ, માનસિક કે શારીરિક ત્રાસ અપાયો હોય એવા કોઈ પુરાવા રેકોર્ડ પર લવાયા નથી. આ નોંધ સાથે કોર્ટે અનિતાને હત્યાના આરોપમાં નિર્દોષ છોડી મૂકી હતી, પરંતુ તેને અને સહ- આરોપી આકાશ સોપાન ચવાણ (31)ને ભારતીય દંડ સંહિતાની કલમ 201 (પુરાવા નષ્ટ કરવા) અને 34 (ગુનાનો સમાન હેતુ) હેઠળ કસૂરવાર ઠરાવ્યા હતા. કોર્ટે જણાવ્યું કે બંને આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 201, 34 હેઠળ આરોપોનો સંબંધ છે ત્યાં સુધી આકાશે આપેલું નિવેદન અને ત્યાર પછી ડ્રમમાં રાખેલો અને કસારા ઘાટમાં છુપાવવામાં આવેલો મૃતદેહની ખોજ કરાઈ તે ઉત્તમ પુરાવા છે, જે સિદ્ધ કરે છે કે આકાશ અને અનિતા વચ્ચે ગુનાના પુરાવા ગાયબ કરવામાં સાઠગાંઠ હતી. આથી પુરાવા નષ્ટ કરવાના આરોપ હેઠળ કસૂરવાર ઠરાવવા સાથે કોર્ટે આરોપી પર પ્રત્યેકી રૂ. 5000નો દંડ ફટકાર્યો હતો અને પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ હેઠળ છુટકારા માટે વિનંતી નકારી કાઢવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 7:06 am

મુંબઈ કોર્ટનો નિર્ણય:અધિકારી બદલી થાય તો સત્તા સમાપ્ત!

મુંબઈમાં અમિત દર્શન કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી સામે ચાલી રહેલી કાર્યવાહી મામલે મુંબઈ હાઈ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ સોસાયટીઝ એક્ટ, 1960ની કલમ 88 મુજબની કાર્યવાહી ચલાવવા માટે નિયુક્ત થયેલા અધિકૃત અધિકારીની સત્તા એકવાર સમાપ્ત થઈ જાય, બદલી થઈ જાય અથવા તેણે પોતાનું અધિકૃત કામ પૂરું કરી દીધું હોય, તે પછી તે અધિકારી વધુ કોઈ કાર્યવાહી કરી શકતો નથી. એટલે કે, તેના અધિકાર તરત જ સમાપ્ત થઈ જાય છે, ભલે તેને તેની બદલી વિશે વ્યક્તિગત જાણ ન હોય. કેસમાં શરૂઆતમાં નિયુકત અધિકારીને કલમ 88ની ઇન્ક્વાયરી કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. તેણે ચાર્જ ફ્રેમ કરી જવાબો મેળવ્યા, પરંતુ વચ્ચે જ ડેપ્યુટી રજિસ્ટ્રારે તેને બદલીને સુનિલ ખોચરેના નામની નવી નિયુક્તિ કરી. તેમ છતાં, જૂના અધિકારીએ જાણ ન હોવાના બહાને 1 માર્ચ, 2022નો રિપોર્ટ તૈયાર કરીને સુપરત કર્યો. બાદમાં એ રિપોર્ટના આધારે કલમ 98 હેઠળ નૈનેશ સંઘવી સહિતના સભ્યો સામે રિકવરી સર્ટિફિકેટ પણ કાઢવામાં આવ્યું. પરંતુ જસ્ટિસ અમિત બોકરે આ કાર્યવાહી ગેરકાનૂની ઠરાવી. કોર્ટે કહ્યું કે, અધિકારીની સત્તા વ્યક્તિગત જ્ઞાન પર નહીં પરંતુ રજિસ્ટ્રારના આદેશ પર આધારિત છે. એક વાર નવો અધિકારી નિયુક્ત થઈ જાય એટલે જૂનો અધિકારી તાત્કાલિક સત્તાશૂન્ય બને છે. અજાણ હોવાની દલીલ કાયદામાં ચાલતી નથી,

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 7:05 am

મુંબઈ એરપોર્ટ પર તોફાન ફાટી નીકળ્યું:ઘરની ચાવીઓ, પાસપોર્ટ બેગમાં, હવે શું? બેગ ગુમ થતાં પ્રવાસીઓની ધીરજ ખૂટી

છેલ્લા પાંચ દિવસથી ઇન્ડિગો ફ્લાઇટ્સમાં ચાલી રહેલી અંધાધૂંધી હવે ચરમસીમાએ પહોંચી રહી છે. ફ્લાઇટ રદ થવી અને કલાકો સુધી વિલંબ થવાથી હતાશ થયેલા મુસાફરો હવે ધીરજ ગુમાવી ચૂક્યા છે અને મુંબઈ એરપોર્ટ પર શાબ્દિક રીતે હંગામો કરતાં જોવા મળી રહ્યા છે. ત્રણ દિવસથી બેગ ન મળતાં રાહ જોઈ રહેલા એક મુસાફરે એરપોર્ટ પર હિંસક વિરોધ પ્રદર્શન કર્યું.ઈન્ડિગોના ગેરવહીવટના ઘણા વિડિયો હાલમાં સોશિયલ મિડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. મુંબઈ એરપોર્ટ પર એક વિદેશી મહિલા ગુસ્સામાં ચેક-ઈન કાઉન્ટર પર સીધી ચઢી ગઈ અને મારપીટ કરી રહી હોવાની ઘટના તાજી છે, ત્યારે હવે એક મુસાફરનો બીજો વિડિયો સામે આવ્યો છે. આ વિડિયોમાં, ઈન્ડિગોના બેદરકાર સંચાલનને કારણે મુસાફર ગુસ્સે ભરાયો છે. વિડિયોમાં મુસાફર ઈન્ડિગોના ચેક-ઈન કાઉન્ટર પર જોરજોરથી હાથ પછાડતો અને કંપનીના કર્મચારીઓ પાસેથી જવાબ માગતો જોવા મળે છે. આ મુસાફર છેલ્લા ત્રણ દિવસથી બેંગ્લોરમાં ફસાયેલો હતો. કોઈક રીતે ભૂખ્યા અને કોઈ સહારા વગર મુંબઈ પહોંચ્યા પછી, તેને ખબર પડી કે તેની બેગ ગાયબ છે. આ મુસાફર કહે છે, અમે છેલ્લા ત્રણ દિવસથી બેંગ્લોરમાં ફસાયેલા હતા. ત્યાં અમને એક પણ દાણો ખોરાક કે પાણીનો ઘૂંટ પણ મળ્યો નહીં. કોઈક રીતે અમે આજે મુંબઈ પહોંચ્યા, પણ હવે અમારી બેગ ગાયબ છે. મારા ઘરની ચાવીઓ અને પાસપોર્ટ તે બેગમાં છે. હવે અમે શું કરવું જોઈએ? મારે ક્યાં? આ મુસાફરે ગુસ્સામાં કાઉન્ટર પર હાથ પછાડતાં સ્ટાફને પૂછ્યું.દરમિયાન, અગાઉ ઇન્ડિગોની ફ્લાઇટ રદ થયા પછી, ગુસ્સામાં એક વિદેશી મહિલા મુંબઈ એરપોર્ટ પર કાઉન્ટર પર ચઢી ગઈ અને સ્ટાફ પાસેથી જવાબ માગ્યો. સ્ટાફ તરફથી તેના પ્રશ્નોના જવાબ ન મળતાં તેની ધીરજ ખૂટી ગઈ અને ઇન્ડિગોના ગેરવહીવટ અંગે પ્રશ્નો ઊભા કર્યા. આ ઘટનાનો વિડિયો હવે સોશિયલ મિડિયા પર વાઈરલ થયો છે, અને ત્યાં હાજર અન્ય મુસાફરો પણ ફ્લાઇટ અપડેટ્સની રાહ જોતા જોવા મળી રહ્યા છે. અન્ય એરલાઇન્સનાં ભાડાંમાં વધારોદરમિયાન, એક તરફ, ઇન્ડિગોની સેવાઓ ખોરવાઈ જવાથી મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. બીજી તરફ, અન્ય એરલાઇન્સે તકવાદી વલણ અપનાવીને ટિકિટના ભાવમાં દસ ગણો વધારો કર્યો છે. દિલ્હી-બેંગલુરુ ફ્લાઇટની મૂળ ટિકિટ કિંમત 7,000 રૂપિયા હતી, પરંતુ હવે તે 1 લાખ રૂપિયાથી વધુ થઈ ગઈ છે. દિલ્હી-મુંબઈ ફ્લાઇટની મૂળ ટિકિટ કિંમત 6,000 રૂપિયા હતી, પરંતુ હવે તે 70,000 રૂપિયા થઈ ગઈ છે. ભાડામાં વધારા અંગે સરકારની ચેતવણીમુસાફરોની આ હેરાનગતિ અને ખાનગી કંપનીઓની મનમાની લૂંટ જોઈને, કેન્દ્ર સરકારે આખરે હસ્તક્ષેપ કર્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે હવે અચાનક વિમાન ભાડામાં થયેલા વધારા અંગે કડક વલણ અપનાવ્યું છે અને સરકારે વધેલા ભાડા અંગે કેટલીક એરલાઇન્સને ગંભીર સૂચનાઓ આપી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વિમાન ભાડા પર મર્યાદા લાદવાનો આદેશ આપ્યો છે અને ભાડાનું 'રીઅલ-ટાઇમ ટ્રેકિંગ' શરૂ કર્યું છે. પરિસ્થિતિ પૂર્વવત ન થાય ત્યાં સુધી કંપનીઓને વધેલા દરો ન વસૂલવા કડક સૂચનાઓ આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 7:03 am

યાત્રિઓ આપે ધ્યાન:એસી લોકલનો ઓફ્ફલાઈન પાસ હોય તો સાથે ઓળખપત્ર ફરજિયાત

એસી લોકલમાં પ્રવાસ કરતા પ્રવાસીઓએ હવેથી પોતાના પાસનું ઓળખપત્ર પણ ટીસીને દેખાડવું પડશે. મધ્ય અને પશ્ચિમ રેલવેમાં એસી લોકલના બનાવટી ટિકિટ અને પાસ તૈયાર કરનારા વિરુદ્ધ રેલવે પ્રશાસને કાર્યવાહી તીવ્ર કરી છે. યુટીએસ એપ દ્વારા કઢાવેલ પાસ અને ટિકિટ યોગ્ય ગણવા તથા ઓફ્ફલાઈન પદ્ધતિથી કાઢેલા પાસ સાથે ઓળખપત્રની તપાસ ફરજિયાત કરવી એવી સૂચના મહાવ્યવસ્થાપક વિવેકકુમાર ગુપ્તાએ મધ્ય અને પશ્ચિમ રેલવેના વરિષ્ઠ રેલવે અધિકારીઓને આપી છે. એઆઈ અને બજારમાં ઉપલબ્ધ એડિટિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરીને એસી લોકલનો બનાવટી પાસ તૈયાર કરવાની ઘટના તાજેતરમાં બની છે. મધ્ય રેલવેમાં ત્રણ અને પશ્ચિમ રેલવેમાં બે પ્રકરણમાં વિવિધ રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઓફ્ફલાઈન પદ્ધતિથી પાસ કાઢવા માટે રેલવે તરફથી અધિકૃત ઓળખપત્ર આપવામાં આવે છે. એનો આધાર લઈ નંબરનો સમાવેશ પાસમાં કરવામાં આવે છે. મધ્ય અને પશ્ચિમ રેલવેમાં તમામ ટીસીઓએ પાસ સાથે ઓળખપત્રની તપાસ કરવી. ભારતીય રેલવેના અધિકૃત યુટીએસ એપમાં દેખાતી ટિકિટ અને પાસ ઓનલાઈન વૈદ્ય ટિકિટ-પાસ તરીકે માન્ય કરવા. અન્ય કોઈ પણ માધ્યમમાં દેખાડતા ઓનલાઈન ટિકિટ કે પાસ માન્ય કરવા નહીં એવી સ્પષ્ટ સૂચના ટીસીને આપવામાં આવી છે. રેલવે કાયદા અનુસાર ટિકિટ વિનાના પ્રવાસીઓને 500 રૂપિયા દંડની જોગવાઈ છે. જો કે બનાવટી ટિકિટ વાપરવી રેલવેની છેતરપિંડી કરવા સમાન છે. આવા ગુનામાં ભારતીય ન્યાય સંહિતા કલમ 318(2), 336(3) અને (4), 340(1) અને (2), 3 (5) અનુસાર મહત્તમ સાત વર્ષ જેલની સજા છે. એના લીધે દાખલ ગુનામાં તરત કાર્યવાહી પૂરી કરવી. એના માટે મધ્ય અને પશ્ચિમ રેલવેના અધિકારીઓએ મુંબઈ રેલવે પોલીસ સાથે વધુ સમન્વય સાધવો એવી સૂચના પણ ગુપ્તાએ આપી છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 7:02 am

સિટી એન્કર:શ્રી હાલાઈ બ્રહ્મક્ષત્રિય પંચનો 79મો વિદ્યોત્તેજક ઈનામી સમારોહ સંપન્ન

શ્રી હાલાઈ બ્રહ્મક્ષત્રિય પંચ મુંબઈનો ૭૯મો વાર્ષિક વિદ્યોત્તેજક ઇનામી સમારોહ તાજેતરમાં પાટકર હોલ, ન્યૂ મરીન લાઈન્સમાં યોજવામાં આવ્યો હતો જેના સમારંભ પ્રમુખ સુધાબેન નિરંજનભાઇ દુબલ હતાં. આ સમારંભમાં બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના મહાનુભાવોને આમંત્રિત કરાયા હતા. ઉપરાંત કવિ અને વાર્તાકાર સંજય પંડ્યા પણ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. જ્ઞાતિના સભ્યોએ છ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો સ્ટેજ પર રજૂ કર્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પ્રજ્ઞા સોનેજી અને રીટા કકૈયા તથા સંચાલન નિશા કકૈયા અને ભાર્ગવ દુબળે કર્યું હતું. જ્ઞાતિના જે વિદ્યાર્થીઓ આ વર્ષે પાસ થયા તે બધાને ઇનામ આપવામાં આવ્યા. ઉપરાંત ધોરણ આઠ પછીના જેટલા પણ વિદ્યાર્થીઓ પહેલો કે બીજો નંબર લાવ્યા તેઓને રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા. છ વિદ્યાર્થીઓ જેમણે ડબલ ગ્રેજ્યુએટ અથવા પ્રોફેશનલ પરીક્ષા પાસ કરી હોય તેમનું 'તેજસ્વી તારલા' તરીકે સન્માન કરી હારતોરા સાથે મેડલ આપવામાં આવ્યા હતા. તેજસ્વી તારલામાં પ્રાથી રાકેશ ભેડા એલએલએમ, ઓમ રાજુ જોગી સીએમએ અમેરિકા, જાનવી શૈલેષ વીંછી એમ.એ, સૃષ્ટિ હિતેન્દ્ર ટાટારીયા એમ.કોમ, હેતલ નરેન્દ્ર ઠાઠાગર એમ.કોમ અને મંથન ગીતેશ દુબલ સીએ. આમંત્રિત મહેમાનોનું સન્માન કરી તેમને પુષ્પગુચ્છ આપવામાં આવ્યા હતા. તેજસ્વી તારલામાંથી એક વિદ્યાર્થીએ કહ્યું હતું કે દરેક જ્ઞાતિમાં જો આવી રીતે પ્રોત્સાહન આપવામાં આવે તો ઘણા તેજસ્વી તારલાઓ બની શકે છે. ત્યાર બાદ સંભારંભ પ્રમુખ સુધાબેને પોતાનું મંતવ્ય વ્યક્ત કરતાં કહ્યું હતું કે જે વિદ્યાર્થીઓ પાસ થયાં છે તેમને અભિનંદન અને તેઓ આગળ વધી જ્ઞાતિનું નામ રોશન કરે એવી શુભેચ્છા. જ્ઞાતિની મદદની રૂપરેખા રજૂ કરાઈશ્રી હાલાઈ બ્રહ્મક્ષત્રિય પંચના પ્રમુખ જયેશ કાપડિયાએ મહેમાનોનું સ્વાગત કરી વિદ્યાર્થીઓ માટે જ્ઞાતિ કેટલી મદદ કરે છે તેની રૂપરેખા રજૂ કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન આશા દુબલ, હીનલ ખત્રી અને મંથન દુબલેએ સંભાળ્યું હતું. આ સંપૂર્ણ કાર્યક્રમ દરમિયાન શ્રી હાલાઈ બ્રહ્મક્ષત્રિય સ્ત્રી મંડળના પ્રમુખ કિર્તીદા મચ્છરે કાર્યક્રમ નિર્વિઘ્ને પાર પડે તેનું ધ્યાન રાખ્યું હતું. ભુપેન્દ્રભાઈ ઘુમરા માનદ મંત્રીઅને પ્રકાશભાઈ તેજાણી સહમંત્રીએ પ્રમુખ સાથે રહીને સમગ્ર સંકલન સંભાળ્યું હતું.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 7:01 am

કોંકણના 'હાપુસ' પર પણ ગુજરાતની નજર:વલસાડ હાપુસ નામથી GI ટેગ માટે અરજી

કોંકણનું નામ પડતાં મીઠી હાપુસ કેરીની યાદ અચૂક આવે છે. અલબત્ત, હાપુસ એ કોંકણ અને સમગ્ર મહારાષ્ટ્રની ઓળખ છે, પરંતુ હવે ગુજરાતે આ હાપુસથી પણ મોં ફેરવી લીધું હોય તેમ જણાય છે. ગુજરાતની ગાંધીનગર અને નવસારી યુનિવર્સિટીઓએ વલસાડ હાપુસ કેરી માટે ભૌગોલિક સંકેત (GI) માટે અરજી કરી છે. આને કારણે એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે આ કોંકણમાંથી હાપુસનું નામ અને ઓળખ છીનવી લેવાનો એક રસ્તો છે. આનાથી રાજ્યના ખેડૂતો અને રાજકારણીઓમાં રોષની લહેર ફેલાઈ ગઈ છે.GI ટેગ એ ચોક્કસ ભૌગોલિક વિસ્તાર સાથે સંકળાયેલી ઉત્પાદનની ઓળખ જાળવવાની પ્રક્રિયા છે. મહારાષ્ટ્રના કોંકણની હાપુસ કેરીને 2008માં GI ટેગ મળ્યો હતો. તે ફક્ત વિસ્તારની માટી, આબોહવા અને પરંપરાગત પ્રથાઓને ધ્યાનમાં રાખીને મળ્યો હતો, પરંતુ હવે ગુજરાતની ગાંધીનગર અને નવસારી યુનિવર્સિટીઓએ 2023માં વલસાડ હાપુસ નામથી ભૌગોલિક સંકેત માટે અરજી કરી છે. આ અરજી કોંકણના આવે છે.રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના શરદચંદ્ર પવારના ધારાસભ્ય રોહિત પવાર અને વકીલ અસીમ સરોદેએ આ મુદ્દા પર પ્રકાશ પાડ્યો છે અને તેની પાછળની રાજનીતિ સમજાવી છે. રોહિત પવારે જણાવ્યું હતું કે, કોંકણ શબ્દ ઉચ્ચારતાંની સાથે હાપુસ યાદ આવે છે. કોંકણ હાપુસની માગણી સમગ્ર વિશ્વમાં છે અને અહીંના ખેડૂતોએ હાપુસને બચાવવા માટે ખૂબ જ મહેનત કરી છે. હાપુસ અહીંના ખેડૂતોની આજીવિકા છે. કોંકણમાં સૌથી વધુ ટર્નઓવર હાપુસ દ્વારા થાય છે, પરંતુ ગાંધીનગર અને નવસારી યુનિવર્સિટીઓએ 2023માં વલસાડ હાપુસ નામથી ભૌગોલિક વર્ગીકરણ માટે અરજી કરી હોવાથી, કોંકણ હાપુસ હવે વર્ગીકરણ સંકટનો સામનો કરી રહી છે.રોહત પવારે સરકારને વિનંતી કરી છે કે તેઓ આ બાબતમાં તપાસ કરે અને કોંકણના કેરીના ખેડૂતોનું રક્ષણ કરે, અને કોંકણના શાસક નેતાઓ પણ આ મુદ્દો ઉઠાવે. આ કેસમાં વકીલ અસીમ સરોદેએ જણાવ્યું હતું કે, વલસાડ હાપુસ નામ માટે વૈશ્વિક ભૌગોલિક નામ મેળવવા માટે ચાલી રહેલા જોરદાર પ્રયાસો સરળ નથી. આ પાછળની વાત ફક્ત એ નથી કે ગુજરાતે હવે કોંકણમાં હાપુસનો દાવો કર્યો છે. સરકાર કોંકણના રત્નાગિરિમાં એક લશ્કરી ઔદ્યોગિક સંકુલ બનાવવા માગે છે અને આ માટે, કોંકણમાં જ હાપુસનું ઉત્પાદન થાય છે તે હકીકતને નકારી કાઢવા માટે પૃષ્ઠભૂમિ બનાવવામાં આવી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું. હાપુસના સ્વાદનું કોઈ સ્થાન નહીં લઈ શકેદરમિયાન રાજ્યના મંત્રી ઉદય સામંતે કહ્યું કે વલસાડની કેરી મહારાષ્ટ્રની હાપુસ કેરીના સ્વાદનું સ્થાન લે કે નહીં લે, પરંતુ કોંકણના હાપુલનો સ્વાદ યથાવત રહેશે. વલસાડની હોય કે કર્ણાટકની, એ સાબિત થયું છે કે કોઈ મહારાષ્ટ્રના હાપુસનું સ્થાન કોઈ લઈ નહીં શકે. આમાં ગુજરાતે અતિક્રમણ કર્યું છે એવું કહેવાનું યોગ્ય નથી. પ્રાદેશિક અતિક્રમણનું કથિત સ્વરૂપઉલ્લેખનીય છે કે, વલસાડના ભાજપના સાંસદ ધવલ પટેલે કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલને પત્ર લખીને ‘એક જિલ્લો એક ઉત્પાદન’ યોજના હેઠળ આ ટેગ માટે સમર્થન માગ્યું છે. આ અરજીને નવસારી યુનિવર્સિટી, ગુજરાત સરકાર અને કેટલાક ખેડૂત સંગઠનો દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના વિરોધ પક્ષોએ દાવો કર્યો છે કે આ પ્રાદેશિક અતિક્રમણ અને હાપુસની ઓળખની ચોરી છે. કોંકણના ખેડૂતોએ પણ આ બાબતનો વિરોધ વ્યક્ત કર્યો છે. ગુજરાતમાં હાપુસની લણણી મે મહિનામાં થાય છે. કોંકણમાં કેરીની લણણી તે પહેલાં થાય છે. તેથી, આ નામ અને ઓળખ છીનવી લેવાનું એક ષડયંત્ર છે, એમ તેમણે જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 7:00 am

અમિત શાહ આજે 1507 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે:થલતેજમાં 881 EWS આવાસો, બોપલમાં ગાર્ડન અને વસ્ત્રાપુર તળાવનું લોકાર્પણ; ગોતામાં જાહેર સભા સંબોધશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે 7 ડિસેમ્બરના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂપિયા 1507 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમદાવાદ ફાયર વિભાગના નવા નિમણૂંક પામેલા 102 સહાયક ફાયરમેનને નિમણૂંક પત્ર પણ એનાયત કરવામાં આવશે. સવારે 10:30 વાગ્યાથી વિવિધ વિસ્તારોમાં નવા વિકાસના કાર્યોના લોકાર્પણ સ્થળની મુલાકાત લઈ બપોરે 2:30 વાગ્યે ગોતા દેવનગર ખાતે જાહેર સભા સંબોધશે. બપોરે વૈષ્ણોદેવી સર્કલ પાસે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન ચરિત્ર પર લખાયેલી પુસ્તિકાનું ગુજરાતી આવૃત્તિનું લોકાર્પણ અને સાંજે રિવરફ્રન્ટ ખાતે BAPSના પ્રમુખ વરણી અમૃત મહોત્સવ કાર્યક્રમમાં પણ હાજરી આપશે. થલતેજમાં 881 EWS આવાસો અને સરખેજ-વસ્ત્રાપુરમાં તળાવનું લોકાર્પણકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રવિવારના રોજ સવારે થલતેજ ખાતે 881 EWS આવાસો, તુલસી રેસીડેન્સીનું નામાભિધાન તેમજ લોકાર્પણ કરશે. ત્યાર બાદ સાઉથ બોપલમાં ઇલેક્ટોથર્મ ગાર્ડન, સરખેજ ગામમાં શ્રી ક્ષેત્ર સરોવર અને વસ્ત્રાપુરમાં ભક્તકવિ નરસિંહ મહેતા સરોવર (વસ્ત્રાપુર તળાવ) જેને રિડેવલોપ કરવામાં આવ્યું છે તેનું પણ લોકાર્પણ કરશે. 350 આવાસોનું લોકાર્પણ અને મીની સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું ખાતમુહૂર્તમેમનગરમાં નારાયણરાવ ભંડારી ઓપન પાર્ટી પ્લોટ, નવા વાડજમાં નટના છાપરા ખાતે રીહેબિલીટેશન કરવામાં આવેલા 350 આવાસોનું લોકાર્પણ તેમજ ગોતામાં મીની સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું ખાતમુહૂર્ત પણ કરશે. આ સિવાય રાણીપ રેલવે ઓવરબ્રિજ પાસે આવેલા રમતગમત પ્રવૃત્તિ સંકુલ અને ન્યુ રાણીપમાં જીમનેશિયમ અને વાંચનલાયની મુલાકાત પણ લશે. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 960.72 કરોડના 29 કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્તગાંધીનગર લોકસભા વિસ્તારમાં AMC દ્વારા રૂપિયા 292.27 કરોડના ખર્ચે 14 કામોનું લોકાર્પણ થશે. આ સાથે સાથે 2 આવાસોના ડ્રો પણ યોજાશે. જેમાં રૂપિયા 127.67 કરોડના આવાસ સંબંધિત કામોનો પણ સમાવેશ કરાયો છે. આ સિવાય રૂપિયા 540.78 કરોડના 13 કામોના ખાતમુહૂર્ત પણ કરશે. આમ આ વિસ્તારમાં કુલ મળીને 960.72 કરોડના ખર્ચે 29 કામો લોકો માટે ઉપયોગી બનશે. પૂર્વ-પશ્ચિમ લોકસભા વિસ્તારમાં 546.18 કરોડના 29 કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્તઅમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા વિસ્તારમાં AMC દ્વારા રૂપિયા 104.85 કરોડના ખર્ચે 12 કામોનું લોકાર્પણ થશે. જ્યારે રૂપિયા 441.33 કરોડના ખર્ચે 17 કામોના ખાતમુહૂર્ત પણ કરશે. આમ આ વિસ્તારમાં રૂપિયા 546.18 કરોડના ખર્ચે કુલ 29 જેટલા કામો અને પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થશે. કુલ 1506.9 કરોડના 58 વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તબંને લોકસભા વિસ્તારોને મળીને AMC દ્વારા રૂપિયા 1506.9 કરોડના ખર્ચે સંભવિત 58 જેટલા વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. આ પ્રોજેક્ટ થકી આગામી દિવસોમાં શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી સુવિધાઓ, ડ્રેનેજ, માર્ગ પાર્ક તેમજ હરિત વિકાસ સહિતના ક્ષેત્રોમાં વિકાસ જોવા મળશે. ગોતામાં 43 કરોડના ખર્ચે નવું મીની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાશેશહેરના ગોતા વિસ્તારમાં દેવનગર પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા 43 કરોડના ખર્ચે નવું મીની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. 18,824 ચોરસ મીટર જગ્યામાં આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. સ્વિમિંગ પુલ સાથે બાસ્કેટબોલ, ટેનિસ કોર્ટ, કબડ્ડી કોર્ટ, ટેબલ ટેનિસ વગેરે રમતો રમી શકે તેના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે. આઉટડોર જીમ અને શાવર ચેન્જિંગ રૂમ વગેરે બનાવવામાં આવશે. આઉટડોર સીટીંગ સાથે ફૂડ કોર્ટ પણ બનાવવામાં આવશે. વિકાસ કાર્યોનું લોકાર્પણ સરકારી આવાસોનો ડ્રો વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 7:00 am

બેંકના આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટે ફરિયાદ નોંધાવી:HDFC બેંકમાં ગ્રાહકો 1.46 લાખની નકલી નોટો ધાબડી ગયા

HDFC બેંકની રાજકોટની વિવિધ બ્રાંચમાં સાત માસ દરમિયાન અજાણ્યા ગ્રાહકોએ રૂ.1.41 લાખની કિંમતની 504 બનાવટી ચલણી નોટો ધાબડી જતા બેંકના આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસે ગુનો નોંધ્યો છે. આ બનાવમાં શહેરના દોઢસો ફૂટ રિંગ પરના કિડવાઈનગરમાં આવેલા માધવ રેસિડેન્સી શેરી નં.1માં રહેતા અને HDFC બેંકની ભક્તિનગર શાખામાં આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ તરીકે નોકરી કરતા દેવાંગ ચીમનલાલ મોટાએ ભક્તિનગર પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને તમામ શાખાઓની જે નોટ આવે તે બેંકમાં કરન્સી ચેસ્ટ બ્રાન્ચના મશીન દ્વારા નોટનું ચેકિંગ કરી બનાવટી છે કે કેમ તેની તપાસ કરવાની કામગીરી સોંપવામાં આવી છે. તેમની રાજકોટની શાખાઓમાં એપ્રિલ 2025થી ઓક્ટોબર 2025ના સાત માસના સમયગાળા દરમિયાન અજાણ્યા ગ્રાહકો દ્વારા કુલ રૂપિયા 1.46 લાખની કિંમતની 504 નકલી નોટો ધાબડી દેતા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 6:47 am

વેકરિયા કદાચ ચૂંટણી નહીં લડી શકે:વકીલ વેકરિયાના સસ્પેન્શન મામલે રજાના દિવસે હાઈકોર્ટ ખૂલી, સ્ટે ન મળ્યો, 10મીની નોટિસ નીકળી

રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી હોય અને વિવાદ ન થાય તેવું બને જ નહીં. આ વખતે વિવાદ સંદીપ વેકરિયાના સસ્પેન્શનને લઈને છે. રોલમાંથી દૂર કરી દેવાતા ચૂંટણીમાં ઉમેદવારી પત્રક ભરી શક્યા નથી. આ નિર્ણય સામે વેકરિયા સ્ટેટ બાર કાઉન્સિલમાં જતા સ્ટે મળ્યો અને તે સ્ટે સામે રિવિઝનમાં એસોસિએશન બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં જતા ત્યાં સ્ટેટના ઓર્ડર રદ કરી નાખ્યો એટલે સસ્પેન્શન ચાલુ થયું. તેની સામે રજાના દિવસે હાઈકોર્ટ ખોલાવી અરજી થઈ પણ રાહત મળી નથી. અને 10મી ડિસેમ્બરની નોટીસ કાઢવામાં આવી છે. જો કે, 10મીએ જ ફોર્મ પરત ખેંચવાની છેલ્લા તારીખ છે આથી વેકરિયા માટે ચૂંટણી લડવા માટે આકરા ચઢાણ છે. બાર એસોસિએશનના સસ્પેન્શનના ઓર્ડર પર બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો સ્ટે હતો. આ સ્ટે ઓર્ડરના રિવિઝનમાં બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ બાર કાઉન્સિલના ગુજરાત પર સ્ટે આપી દીધો હતો. હવે બીસીઆઈના આ ઓર્ડર પર સ્ટે લાવવા માટે સંદીપ વેકરિયાએ હાઈકોર્ટના દ્વારા ખખડાવ્યા હતા. જોકે શનિવારે રજા હતી પણ હાઇકોર્ટે આ સમગ્ર મામલો સાંભળીને 10 મીની નોટીસ કાઢી છે. વિવાદનો આ છે સમગ્ર ઘટનાક્રમ

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 6:47 am

CCTV ફૂટેજમાં ચાર તસ્કર કેદ થયા:પડધરી કારખાનામાંથી રૂ.27.55 લાખની માલમત્તા લઇ ચડ્ડી-બનિયાન ગેંગ ફરાર

પડધરીમાં વધુ એક ચોરીનો બનાવ પોલીસે ચોપડે નોંધાયો છે. જેમાં ચાર તસ્કરે કારખાનામાં પ્રવેશી લેપટોપ, આઈપેડ તેમજ રોકડ સહિત રૂ.27.55 લાખની માલમત્તા લઈ ફરાર થઈ ગયા છે. આ બનાવમાં શહેરના અમીન માર્ગ પર આવેલ નચિકેતન 1-અ ગુલાબવાટિકામાં રહેતા અને મોવૈયાની સીમ પડધરી-ઉકરડા રોડ પર આવેલા એરકોન ઈન્ડિયા નામે કારખાનું ધરાવતા હર્ષિતભાઈ પ્રહલાદભાઈ કાવર(ઉં.વ.35) એ પડધરી પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.5ના વહેલી સવારે તે ઘરે હતો ત્યારે તેના સાળા વાગુભાઈ પણ સાથે જ હતા, તે સમયે તેના ફોનમાં કોલ આવ્યો કે કારખાનામાં ચોરી થઇ છે. જેથી તે બન્ને કારખાને જઈ તપાસ કરતા તેની ઓફિસના ઉત્તર બાજુની દીવાલે મેટલ સેક્શનનો દરવાજો ખૂલેલ હાલતમાં હતો. તેમજ બહારની જગ્યામાં સીડી જોવા મળી અને ઓફિસના ટેબલના ખાનાઓ પણ ખુલ્લા હતા. આ ઉપરાંત લાકડાંના કબાટ પર સ્ટીલનો ડબ્બો જેમાં દવા પડી હતી તે પણ ખાલી હતો. અને બીજા ખાનામાં રાખેલ રોકડ રૂ.24.47 લાખ પણ જોવા ન મળ્યા હતા. આ ઉપરાંત આઈપેડ, મેકબુક અને બંધ લેપટોપ મળી કુલ રૂ.45 હજારનો સામાન ચોરી થયો હતો. જે દરમિયાન એકાઉન્ટની કામગીરી સંભાળતા હિરેનગીરી ગોસ્વામીએ તેને કહ્યું કે, મારા ટેબલના ખાનામાં રાખેલ રૂ.63 હજાર પણ જોવા મળતા નથી. આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 6:46 am

ઠગ ઓફ થમ્બ્સ:વાજબીભાવના 6 પરવાનેદારને રૂ.45.78 લાખનો દંડ કરાયો

વર્ષ 2019-20માં બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપાયેલા નકલી ફિંગરપ્રિન્ટના આધારે સરકારી અનાજ હડપ કરી જવાના કૌભાંડમાં તપાસ રાજકોટ સુધી લંબાયા બાદ વાજબીભાવના 23 પરવાનેદાર પુરવઠા વિભાગની ઝપટે ચડી જતા કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ચકચારી કૌભાંડમાં પાંચ દુકાનદાર સરકારમાં અપીલમાં ગયા બાદ કેસ રિમાન્ડ થતાં જિલ્લા કલેક્ટરે પાંચેય પરવાનેદારને રૂ.39,20,797નો દંડ ફટકાર્યો હતો. સાથે જ આવા જ અન્ય એક કિસ્સામાં પુરવઠા અધિકારીના હુકમ સામે કલેક્ટર સમક્ષ અપીલ કરતા કલેક્ટરે ડીએસઓનો હુકમ યથાવત્ રાખી રૂ.6,57,767 રૂપિયા દંડ વસૂલવા આદેશ કરતાં ઠગ ઓફ થમ્બ કૌભાંડમાં કુલ છ પરવાનેદારને રૂપિયા 45,78,564નો દંડ ફટકારવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ 2019માં ભૂતિયા રેશનકાર્ડના આધારે અસ્તિત્વ વગરના રેશનકાર્ડ ધારકોના નકલી રબ્બરના અંગૂઠાથી સરકારી અનાજ હડપ કરવાનું કૌભાંડ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી લેતા આ કૌભાંડનો રેલો રાજકોટ સુધી પહોંચ્યો હતો. અહીં શહેર અને જિલ્લામાં ઠગ ઓફ થમ્બ ગેંગના ભેજાબાજ સસ્તા અનાજના વિક્રેતાઓ દ્વારા પુરવઠા વિભાગ ઓપરેટરની મદદથી ગરીબોના હિસ્સાનું અનાજ હડપ કરી લેવામાં આવતું હોવાનું ખૂલતા તત્કાલીન જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને ખાસ ટીમો મારફતે તપાસ કરાવી આવા 23થી વધુ પરવાનેદાર વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. નકલી અંગૂઠા બનાવનાર વેપારીઓને ફટકારાયેલ દંડ વર્ષ 2019-20માં નકલી ફિંગરપ્રિન્ટ મામલે 23 પરવાનેદાર ઝપટે ચડ્યા હતાપોલીસે ઝડપી લેતા આ કૌભાંડનો રેલો રાજકોટ સુધી પહોંચ્યો હતો. અહીં શહેર અને જિલ્લામાં ઠગ ઓફ થમ્બ ગેંગના ભેજાબાજ સસ્તા અનાજના વિક્રેતાઓ દ્વારા પુરવઠા વિભાગ ઓપરેટરની મદદથી ગરીબોના હિસ્સાનું અનાજ હડપ કરી લેવામાં આવતું હોવાનું ખૂલતા તત્કાલીન જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને ખાસ ટીમો મારફતે તપાસ કરાવી આવા 23થી વધુ પરવાનેદાર વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 6:45 am

BOMમાં 92.92 લાખની દરખાસ્ત:યુનિ.માં લાઇબ્રેરી માટે 6 કરોડના બજેટ સામે રૂ. 7.39 કરોડ ખર્ચ્યા, છતાં ફાયર સેફ્ટીના સાધનો ભૂલી ગયા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષણ અને સંશોધનના નામે ખુલ્લેઆમ નાણાકીય ગેરવહીવટ થઈ રહ્યો હોવાની સ્થિતિ સર્જાઈ છે. યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી લાઇબ્રેરી માટે મૂળ રૂ.6 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું, પરંતુ સત્તાધીશોએ અત્યાર સુધીમાં રૂ.7.39 કરોડ ખર્ચી નાખ્યા છે, એટલે કે મંજૂર બજેટ કરતાં રૂ.1.39 કરોડનો સીધો વધુ ખર્ચ કરી દેવામાં આવ્યો છે! આ નાણાકીય બેદરકારીનો અંત અહીં આવતો નથી. એકબાજુ લાઇબ્રેરી પાછળ રૂ.7.39 કરોડનો બિનજરૂરી ખર્ચ કરી દેવાયો, પરંતુ સૌથી ગંભીર અને બેજવાબદાર ભૂલ એ થઈ કે તેમાં ફાયર સેફ્ટીના સાધનો અને સુવિધાઓ આપવાનું જ ભૂલાઈ ગયું! વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાના પુસ્તકો અને સંશોધન સુવિધાઓ મળવાને બદલે, કરોડો રૂપિયાનો આ વધારાનો ખર્ચ ક્યાં અને શા માટે થયો તેની તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસની માંગ જોર પકડી રહી છે. સ્પષ્ટપણે જણાય છે કે, સત્તામંડળની બેઠકો ખાલી રાખીને, વિદ્યાર્થીઓના મહત્ત્વના શૈક્ષણિક પ્રશ્નોની જાણી જોઈને અવગણના કરવામાં આવી રહી છે અને માત્ર રાજકીય ગોટાળાઓને છાવરવા માટે જ આ સંકુલને ‘ગેરવહીવટનું મેદાન’ બનાવી દેવાયું છે. વિદ્યાર્થીઓના જીવન અને સંસ્થાની સંપત્તિની સુરક્ષા માટે આવશ્યક એવી ફાયર સેફ્ટીની સુવિધા માટે હવે ફરીથી યુનિવર્સિટીના વહીવટી તંત્ર દ્વારા આશરે રૂ.92.92 લાખના ખર્ચનું નવું એસ્ટિમેટ બોર્ડ ઓફ મેનેજમેન્ટ સમક્ષ મૂકવામાં આવ્યું છે, જેનાથી વિવાદ વકર્યો છે. આ દર્શાવે છે કે, આટલા મોટા ખર્ચ છતાં યુનિવર્સિટીના વહીવટી તંત્રને મૂળભૂત સુરક્ષા જરૂરિયાતોની પણ પરવા નથી. શિક્ષણના નામે કરોડોનો ધુમાડો કરનાર સત્તાવાળાઓ હવે ફાયર સેફ્ટીના નામે વધુ 92 લાખ રૂપિયાનો ફટકો મારવા તૈયાર છે. હવે જોવાનું એ રહ્યું કે, સરકાર આ શૈક્ષણિક સંકુલમાં ચાલી રહેલા ગોટાળા પર કડક અને તાત્કાલિક કાર્યવાહી કરે છે કે, પછી હંમેશની જેમ આ ગંભીર મુદ્દાઓ માત્ર ફાઈલોમાં જ દબાઈને રહી જશે. ગોટાળા અટકાવવા તાત્કાલિક પરીક્ષા સમિતિની બેઠક બોલાવવા VCને પત્રસૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા પ્રણાલીની પારદર્શિતા અને ગુણવત્તા પર સવાલો ઊભા થયા છે. ફેકલ્ટી ઓફ એજ્યુકેશનના ડીન ડો. નિદત્ત બારોટે આ મુદ્દે પરીક્ષા સમિતિની વિશેષ બેઠક તાત્કાલિક બોલાવવા માટે કુલપતિને પત્ર લખ્યો છે. ચાર મુખ્ય અને ગંભીર મુદ્દાઓ પર તાત્કાલિક નિર્ણય લેવાની માંગ કરવામાં આવી છે જેમાં પ્રશ્નપત્ર રચનાની વ્યવસ્થાની પુનર્રચના કરવી, નવી સ્ક્રૂટિની મિકેનિઝમ અને ડબલ ચેકિંગ સિસ્ટમ લાગુ કરવી. પરીક્ષકો, મૂલ્યાંકનકાર અને પેપર સેટરની એક વર્ષથી વધુ સમયથી બાકી રહેલ રેમ્યુનરેશનની ચૂકવણી ઝડપી કરવી, એપ્રિલ-મે, 2026ની આવનારી પરીક્ષાનું સમયપત્રક પૂર્વ તૈયારી સાથે વહેલું નક્કી કરવું અને તાજેતરમાં માર્કશીટમાં નોંધાયેલી ભૂલોના મૂળ કારણો ઓળખી સુધારેલી પદ્ધતિ અમલમાં મૂકવી. ડો.બારોટે વિનંતી કરી છે કે, આ તમામ મુદ્દાઓ વિદ્યાર્થીઓના હિત અને પરીક્ષાની વિશ્વસનીયતા સાથે સીધા સંકળાયેલા છે, જેથી વહેલામાં વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 6:43 am

25 વહાલુડીના વિવાહ:કન્યાદાન કરવા બે દંપતી લંડન તથા એક દુબઇથી રાજકોટ આવશે

દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વહાલુડીના વિવાહનું આઠમું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા સાત વર્ષથી ડિસેમ્બર માસના છેલ્લા રવિવારે માતા-પિતા વિહોણી કે પિતા વિહોણી 22 દીકરીના ભવ્ય સમૂહલગ્ન કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે 25 દીકરીના વિવાહ યોજાશે. આ આયોજન તા.21 ડિસેમ્બર, રવિવારના રોજ સાંજે 5 વાગ્યે યોજાશે. દીકરીઓને કરિયાવરમાં 200થી વધુ વસ્તુઓ આપવામાં આવશે. આ વર્ષે વિવાહના મુખ્ય યજમાન તરીકે રાજકોટની ત્રણ સખીઓ જેમાં વર્ષાબેન આદ્રોજા, નીપાબેન કાલરિયા અને કેશાબેન મહેતા છેે. ભાસ્કર ઇનસાઇડકરિયાવરની સાથે 6 માસ સુધીનું રાશન અપાશેવિવાહ અંગે સંસ્થાના સ્થાપક અનુપમભાઇ દોશીએ જણાવ્યું હતું કે, દર વખતે 22 દીકરીના વિવાહ યોજાઇ છે, પરંતુ આ વખતે અન્ય 3 દીકરી એટલે 25 દીકરીના વિવાહ યોજાશે. આ ઉપરાંત દર વર્ષની જેમ આ વર્ષે પણ પહેલી પાંચ કંકોતરી રામનાથ મહાદેવ મંદિર, બાલાજી મંદિર, આશાપુરા મંદિર, માઇ મંદિર અને બાલકૃષ્ણલાલજી હવેલી (દરબારગઢ) ખાતે મૂકવામાં આવશે. આ આયોજનમાં સૌરાષ્ટ્રભરના સાધુ-સંતો દીકરીઓને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહેશે. દીકરીઓને માત્ર કરિયાવર જ નહીં, પરંતુ તેની સાથે 6 માસ સુધીનું રાશન પણ અપાશે. તમામ કરિયાવર 14મીએ રવાના કરાશે જેનું પેકિંગ સંસ્થાની બહેનો ભક્તિમય સંગીત, વાતાવરણમાં કરે છે. લગ્નના દિવસે ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવશે. વિશેષ વાત તો એ છે કે, સંસ્થા દ્વારા દીકરીઓને પાર્લર તથા મહેંદી સહિતની તમામ વસ્તુઓ પૂરી પાડે છે જેમાં જૂનાગઢથી બહેનો દીકરીઓને તૈયાર કરવા તથા મહેંદી મૂકવા પોતાના ખર્ચે આવે છે. આ ઉપરાંત કહેવાય છે કે, કન્યાદાન એ સૌથી મોટું દાન છે. જે માતા-પિતાને દીકરી નથી તેમને કન્યાદાન કરવાનો અવસર આપવામાં આવે છે, તેથી આ વખતે કન્યાદાન કરવા ખાસ 3 લોકોમાં બે લંડન અને એક દુબઇથી રાજકોટ આવશે. 25 યુગલના આજે થેલિસિમિયા ટેસ્ટવિવાહ પહેલાં કહેવાય છે કે, થેલિસિમિયા ટેસ્ટ પછી જ સગાઇ. આથી આગામી તા.21 ડિસેમ્બરમાં યોજનાર વહાલુડીના વિવાહની 25 યુગલના આજે તા.7 ડિસેમ્બરના રોજ બપોરે 2 વાગ્યે સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ ખાતે થેલિસિમિયા ટેસ્ટ કરાવાશે. જેમાં તંદુરસ્ત અને સ્વસ્થ સમાજનું નિર્માણ થાય, ભવિષ્યમાં નવા થેલેસેમિક બાળક ન જન્મે તે માટે આ આયોજન લાઇફ સંસ્થાના સહયોગથી કરવામાં આવ્યું છે. ઇન્સાઇડ

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 6:42 am

SIRની કામગીરી:રાજકોટની 5 વિધાનસભા બેઠકમાં 100 ટકા ‘સર’

રાજકોટ સહિત રાજ્યમાં તા.4 નવેમ્બરથી શરૂ થયેલ SIRની કામગીરીમાં જિલ્લાની આઠ વિધાનસભા બેઠકમાં સ્પેશિયલ ઈન્સેન્ટિવ રિવિઝનની કામગીરી હાલમાં પૂર્ણ થવાની દિશામાં છે. જિલ્લાની આઠ બેઠક પૈકી 71- રાજકોટ ગ્રામ્ય, 72-જસદણ, 73-ગોંડલ, 74-જેતપુર અને 75- ધોરાજી વિધાનસભા બેઠકમાં SIRની 100 ટકા કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. જોકે શહેરની ત્રણ વિધાનસભા બેઠકમાં પણ 98.52 ટકાથી લઈ 99.12 ટકા કામગીરી પૂર્ણ થતા આગામી એકાદ બે દિવસમાં સરની કામગીરી પૂર્ણ થશે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે. મુછાળના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લામાં 4 ડિસેમ્બરથી શરૂ થયેલ સ્પેશિયલ ઈન્સેન્ટિવ રિવિઝનની કામગીરીમાં તા.6 ડિસેમ્બરના સરેરાશ 99.54 ટકા કામગીરી પૂર્ણ થઇ છે. જિલ્લામાં 71-રાજકોટ ગ્રામ્ય વિધાનસભા, 72-જસદણ, 73-ગોંડલ, 74-જેતપુર અને 75-ધોરાજી વિધાનસભા બેઠકમાં 100 ટકા SIR પૂર્ણ થયો છે. આ ઉપરાંત 68-રાજકોટ પૂર્વમાં 98.52 ટકા, 69 રાજકોટ પશ્ચિમમાં 98.85 ટકા અને દક્ષિણમાં 99.12 ટકા કામગીરી પૂર્ણ થઇ છે અને તમામ વિધાનસભા વિસ્તારમાં બાકી મેપિંગની કામગીરી પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં SIRની કામગીરી દરમિયાન ગેરહાજર રહેલા, સ્થળાંતરિત થયેલા, ડુપ્લિકેટ મતદારોનો મોટો આંકડો સામે આવ્યો છે. જેમાં જિલ્લામાં મૃત્યુ પામેલ મતદારની સંખ્યા 86,044, ગેરહાજર મતદારની સંખ્યા 44,426, સ્થળાંત્તર થયેલા મતદારની સંખ્યા 1,35,545, બેવડાયેલ મતદારની સંખ્યા 9,555 છે. કુલ મળી જિલ્લામાં SIR દરમિયાન 2,79,008 મતદાર સામે આવ્યા હોય આ તમામના નામ રદ કરાશે. સાથે જો કોઈ મતદારનું SIR બાદ મતદારયાદીમાંથી નામ દૂર થયું હશે તો આવા મતદાર ડેક્લેરેશન ફોર્મ અને રાષ્ટ્રીયતાના પુરાવા રજૂ કર્યેથી ફરી પોતાનું નામ મતદારયાદીમાં ઉમેરાવી શકશે. રાજકોટ જિલ્લામાં SIRની કામગીરી વિધાનસભા બેઠક મુજબ

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 6:41 am

યાત્રિકોમાં હાશકારો:DGCAની ઈન્ડિગોને રાહત, રાજકોટથી તમામ ફ્લાઈટ શરૂ, મુંબઈની કેન્સલ રહી

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ એરલાઈન્સ અને ખાસ કરીને ઇન્ડિગોને નિયમોમાં 10 ફેબ્રુઆરી 2026 સુધી અસ્થાયી રાહત આપતા, કર્મચારીઓના વીકલી રેસ્ટ (સાપ્તાહિક આરામ) ને બદલે રજા ન આપવાના તેના અગાઉના કડક નિર્ણયને પાછો ખેંચી લીધો છે. આ નિર્ણયના પગલે રાજકોટ સહિત દેશભરમાં ઇન્ડિગોની ફ્લાઇટના ઓપરેશન શનિવારે પૂર્વવત્ થઈ ગયા છે. રાજકોટથી એકમાત્ર મુંબઈની ફ્લાઈટ કેન્સલ કરી હતી જ્યારે બાકીની તમામ ફ્લાઈટના ઓપરેશન રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવતા યાત્રિકોને પણ હાશકારો થયો છે. શનિવારે ઇન્ડિગો એરલાઇન્સની પરિસ્થિતિ પાટે ચડી હોય તેમ સવારની દિલ્હી ફ્લાઇટ ફુલ ઊડી હતી. મુંબઈની ફ્લાઇટ 30 મિનિટ ડીલે થઈ હતી. જોકે આજે સાંજે 4:55 કલાકની રાજકોટ-મુંબઈ ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી, પરંતુ અન્ય દિલ્હી-2, મુંબઈ-3, ગોવા, હૈદરાબાદ અને બેંગ્લોરની 1-1 ફ્લાઇટનું ઉડ્ડયન શરૂ થતાં મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે. શુક્રવારે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઇન્ડિગોની ડેઈલી દિલ્હી, મુંબઈ, ગોવા, હૈદરાબાદ અને બેંગ્લોર સહિત તમામ 8 જેટલી ફ્લાઇટ એકીસાથે કેન્સલ થઈ ગઈ હતી. જેના કારણે હજારો પ્રવાસીઓ રઝળી પડ્યા હતા અને ઇન્ડિગો એરલાઇન્સ કંપની સામે પ્રવાસીઓએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. લગ્ન પ્રસંગો અને અન્ય મહત્ત્વના કામો સબબ ફરજિયાત મુસાફરી કરવી પડે તેવી સ્થિતિવાળા પ્રવાસીઓએ એર ઇન્ડિયાની દિલ્હી-મુંબઈ ફ્લાઇટમાં ઊંચા એરફેર ચૂકવીને ફ્લાઇટ પકડવી પડી હતી.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 6:40 am

સન્ડે બિગ સ્ટોરી:રાજકોટની 28 બેંકના ખાતામાં પડ્યા છે 139.20 કરોડ રૂપિયા, કોઈ દાવેદાર નથી!

રાજકોટ સહિત દેશભરની બેંકમાં કરોડો રૂપિયાની બિનવારસી જમા રકમ (અનક્લેમ્ડ ડિપોઝિટ) પડી છે, જેનો ઘણાં વર્ષોથી બેંક પાસે કોઈ દાવો કરવા માટે આવ્યું નથી. એટલે કે, આ બેંક ખાતાઓ નિષ્ક્રિય થઈ ચૂક્યા છે અને તેમની સંખ્યા સેંકડોમાં છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) હવે આ પ્રકારની અનક્લેમ્ડ ડિપોઝિટને તેમના અસલ કાયદાકીય વારસદારને સોંપવા માટે દરેક જિલ્લામાં અભિયાન (કેમ્પન) યોજવાની યોજના બનાવી છે. રાજકોટની જુદી જુદી 20 બેંકના 3.57 લાખ ખાતામાં પડ્યા છે 139 કરોડ રૂપિયા, જેનું કોઈ દાવેદાર નથી! જેમાં સૌથી વધુ બેંક ઓફ બરોડામાં 33.50 કરોડ અને SBIમાં 31.78 કરોડ રૂપિયા પડ્યા છે. સૌથી વધુ નિષ્ક્રિય ખાતા અને રકમ ધરાવતી ટોપ-10 બેંક ભાસ્કર એક્સપર્ટનાણા મંત્રાલયે 565 ખાતેદારને 4.22 કરોડની રકમ પરત અપાવીભારત સરકારના નાણા મંત્રાલયના માર્ગદર્શનમાં સમગ્ર ભારતમાં ‘તમારી મૂડી તમારા અધિકારો’ અભિયાનનું અમલીકરણ થઈ રહ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ બેંકો, વીમા સંસ્થાઓ અને અન્ય નાણાકીય સંસ્થાઓમાં રહેલી વર્ષોથી અન્ક્લેમ્ડ/અપ્રમાણિત મૂડીને જનતાની માલિકીની મૂડી તરીકે ફરી સક્રિય (ચેતનવંત) કરી તેમને પરત આપવાનો છે. રાજકોટ જિલ્લામાં લીડ બેંક SBI દ્વારા રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન હોલ ખાતે વિશાળ અભિયાન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં 565 ખાતેદારનેકુલ રૂ.4.22 કરોડની રકમ વિવિધ બેંકો દ્વારા પરત/સેટલ કરાઇ હતી. એલ.આઇ.સી. દ્વારા રૂ.9.65 લાખની રકમ સીધી જ લાભાર્થીઓને પરત કરાઇ હતી. રાજકોટ જિલ્લામાં અન્ક્લેમ્ડ ડિપોઝિટ શોધ, સેટલમેન્ટની દૃષ્ટિએ એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે. > સંજય મેહતા, ફાઈનાન્સિયલ લિટરેસી કાઉન્સેલર, લીડ બેંક

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 6:38 am

સિટી એન્કર:વાઇબ્રન્ટ રીજનલ કોન્ફરન્સનું કાઉન્ટડાઉન શરૂ, રાજકોટમાં દેશના ટોચના ઉદ્યોગપતિઓ આપશે હાજરી: અગ્રસચિવ વર્મા

આગામી તા.8 અને 9 જાન્યુઆરીએ રાજકોટ ખાતે યોજાનાર સૌરાષ્ટ્ર રીજન માટેની વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. શનિવારે રાજ્યના ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ વિભાગની પ્રિન્સિપલ સેક્રેટરી મમતા વર્માએ કોન્ફરન્સ સ્થળ મારવાડી કેમ્પસ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ 100 જેટલા ઉદ્યોગ સંગઠનોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી ઓપનિંગ સેરેમની સહિતના આયોજનની સમીક્ષા કરી હતી. મહત્ત્વનું છે કે, રાજકોટ ખાતે યોજાનાર સમિટમાં દેશના ટોચના ઉદ્યોગપતિ હાજરી આપશે. વડોદરા એન્જિનિયરિંગ, એજ્યુકેશન ખાતે યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સમાં સિરામિક્સ, એન્જિનિયરિંગ, પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ, ફિશરીઝ, પેટ્રોકેમિકલ્સ, કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ, મિનરલ્સ જેવા ક્ષેત્રોમાંથી સૌથી વધુ રોકાણની શક્યતા જોવાઈ રહી છે અને આ કોન્ફરન્સમાં જાપાન અને કેનેડાના ડેલિગેશનની સાથે દેશના ટોચના ઉદ્યોગપતિઓ પણ હાજર રહેશે. શનિવારે પ્રિન્સિપલ સેક્રેટરી મમતા વર્માએ મારવાડી યુનિવર્સિટી ખાતે સૌરાષ્ટ્રના 100 જેટલા ઉદ્યોગ સંગઠનના પ્રતિનિધિઓ સાથે બેઠક પણ યોજી હતી.મહત્ત્વનું છે કે, મહેસાણા ખાતે યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સમાં રૂ.3.24 લાખ કરોડના રોકાણ માટેના એમઓયુ સાઈન કરવામાં આવ્યા હતા. રાજ્યમાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સની તારીખ

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 6:32 am

ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:જીવલેણ અકસ્માત સર્જે તેવો નવો રોડ, ડ્રેનેજના 28માંથી 13 મેનહોલ ખુલ્લા રાખી દીધા, 7માં પાણા ખડકી દેવાયા

રાજકોટ મહાનગરપાલિકાએ બે મહિના પહેલાં જ નાણાવટી ચોકથી રામેશ્વર મેઈન રોડ સુધી અંદાજે બે કિલોમીટરનો નવો નક્કોર રોડ લોકોની સુવિધા માટે બનાવી આપ્યો છે. સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન આ રોડના કુલ 28 મેનહોલમાંથી 13 મેનહોલ ખુલ્લા રાખી દેવામાં આવ્યા છે. 7 મેનહોલમાં પાણા અને પેવર બ્લોકના કટકા ખડકી દેવામાં આવ્યા છે. જ્યારે 5 મેનહોલનું જ સિમેન્ટ પાથરીને લેવલિંગ કરવામાં આવ્યું છે. નવો રોડ બનતા વાહનની સ્પીડ થોડી વધારે રહે તે સ્વાભાવિક છે. આ રોડ પર સવારે અને સાંજે સૌથી વધુ મહિલાઓ ઘરવખરીની ચીજ વસ્તુઓની ખરીદી કરવા ટૂ વ્હિલર લઈને આવે છે ત્યારે આ રોડ કોઇ જીવલેણ અકસ્માત સર્જે તે પહેલાં ખુલ્લા અને પાણા ખડકી દેવાયેલા ડ્રેનેજના મેનહોલ તેમજ પાણીની વાલ્વ ચેમ્બરનું સમારકામ કરવું જરૂરી છે, અન્યથા શું થઈ શકે તે મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સારી રીતે જાણે છે. લત્તાવાસીઓની વ્યથાકોર્પોરેટર, કોર્પોરેશનને ફરિયાદ કરી તો કહ્યું, ‘ચિંતા ન કરો, તમારું કામ થઈ જશે’રામેશ્વર ચોકમાં જ દુકાન ધરાવતા સુનિલભાઈ ચૌહાણે નવા નક્કોર રોડ પર જે જીવલેણ મેનહોલ છે તે સંદર્ભે મહાનગરપાલિકાને આજથી 20 દિવસ પહેલાં ઓનલાઈન ફરિયાદ કરી હતી અને વોર્ડ નં.9ના કોર્પોરેટર જીતુ કાત્રોડિયાને રૂબરૂ બોલાવીને, ખાડા દેખાડીને રજૂઆત કરી હતી બંને જગ્યાએથી એક જ જવાબ આવ્યો કે ચિંતા ન કરો, કામ થઈ જશે. સુનિલભાઈએ કહ્યું હતું કે, છેલ્લા 15 દિવસમાં આ ચોકમાં ખાડાને કારણે અકસ્માતની પાંચ ઘટના બની છે સદનસીબે કોઇ ગંભીર રીતે ઘાયલ થયું નથી, પરંતુ વાહનને ખાસ્સું એવું નુકસાન થયું હતું. ભાસ્કર ઇનસાઇડટેન્ડર તૈયાર કરનાર વોર્ડ એન્જિનિયરની આળસુ વૃત્તિ આ ખાડાનું કારણ બની !જ્યારે કોઇ રોડ નવેસરથી બનાવવાનો આવે ત્યારે બધાને એ ખબર હોય છે કે રસ્તા પરના મેનહોલ ઊંડા જશે અને લેવલ કરવા પડશે. જે રોડ બનાવવા માટે રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટ આવી હોય તેના ટેન્ડરમાં જ મેનહોલ લેવલ કરવાની પણ શરત નાખી દેવાની હોય છે. પણ, કોપી પેસ્ટના ટેવાયેલા વોર્ડ એન્જિનિયર એવો કોઇ ફેરફાર કરતા નથી જેથી રોડ બની ગયા બાદ આ મેનહોલ ઉંચા કરવાનું કામ ઝોનલ કોન્ટ્રાક્ટર પાસે કરાવે છે જેનો ખર્ચ પણ મનપા ભોગવે અને કોન્ટ્રાક્ટર મનમુજબ કામ કરે એટલે બે મહિનાથી આ ખાડા યથાવત્ છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 6:29 am

ભાસ્કર પેરેલલ ઇન્વેસ્ટિગેશન:ટીબીના દર્દીનું સ્પાર્ક થતાં ભેદી આગમાં મોત, પોલીસ કહે છે બીડી પીતા દાઝી જવાથી મૃત્યુ થયું, પોસ્ટમોર્ટમ વિના મૃતદેહ સોંપી દેવાયો

રાજકોટ સિવિલ હોસ્પિટલના ટીબી વોર્ડમાં દાખલ પ્રૌઢ દર્દી તા.2ના ભેદી સંજોગોમાં દાઝી ગયા હતા, જેમનું તા.5ના સારવાર દરમિયાન મૃત્યું થયું હતું. ટીબીના દર્દી રાત્રિના બીડી પીતી વખતે દાઝી ગયાની ડોક્ટરે પોલીસમાં નોંધ કરાવી હતી. દર્દીનું મૃત્યુ થયા બાદ પોસ્ટમોર્ટમ કરાવવું ફરજિયાત હોવા છતાં પોલીસે પીએમ કરાવ્યા વગર મૃતદેહ સ્વજનોને સોંપી દીધો હતો. બીડી પીતા નહીં પરંતુ કોઇ ઇલેક્ટ્રિક સ્પાર્કથી દર્દી દાઝ્યાની દૃઢ શંકા સેવાઇ રહી છે ત્યારે હોસ્પિટલ તંત્રએ ખોટી સ્ટોરી ઊભી કરી અને પોલીસે પણ તેમાં મદદગારી કરી પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર મૃતદેહને બારોબાર મોકલી દેવાતા અનેક સવાલો ઉઠ્યા છે. મોરબીમાં રહેતા કાકુભાઇ કરશનભાઇ નામના 65 વર્ષના પ્રૌઢને ગત તા.28 નવેમ્બરના રાજકોટની સિવિલ હોસ્પિટલના ટીબી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગત તા.2 ડિસેમ્બરના બપોરે 1.05 વાગ્યે હોસ્પિટલના ડોક્ટર આઇ આદિત્ય નાયડુએ હોસ્પિટલ પોલીસ ચોકીમાં જાણ કરી હતી કે, તા.2ની રાત્રિના 3 વાગ્યે દર્દી કાકુભાઇ પોતાના બેડ પર બીડી પીતા આકસ્મિક દાઝી ગયા છે, તેમજ તા.5ના બપોરે 4.20 વાગ્યે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. પોલીસે પણ ડોક્ટરે કરેલી જાહેરાતની નોંધ કરી હતી અને પોલીસે એવી પણ નોંધ કરી હતી કે, મૃતકના વાલીવારસ પોસ્ટમોર્ટમ કરાવવા માગતાં ન હોય જેથી પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું નથી. કાયદા મુજબ કોઇપણ ઉંમરની વ્યક્તિ કોઇ પણ રીતે દાઝી ગઇ હોય અને તેનું મૃત્યુ થાય તો પોસ્ટમોર્ટમ કરાવવું ફરજિયાત છે, પરંતુ પોલીસે આ કિસ્સામાં કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું. આ મામલે દિવ્ય ભાસ્કરની ટીમે તપાસ કરતાં અનેક શંકાસ્પદ વિગતો બહાર આવી હતી. દિવ્ય ભાસ્કરની ટીમે આગની ઘટના અંગે હોસ્પિટલના વિવિધ કર્મચારીઓ સાથે વાતચીત કરી તો જાણવા મળ્યું કે, તા.2ની રાત્રિના પ્રૌઢ દર્દી કાકુભાઇ દાઝ્યા હતા જેની જાણ થતાં હોસ્પિટલનો ફાયર સ્ટાફ વોર્ડમાં પહોંચ્યો હતો. ફાયર એક્સ્ટિંગ્યુસરનો ઉપયોગ કરી આગ બુઝાવવામાં આવી હતી, દર્દીને ઓક્સિજન અપાતું હોવાથી તેમના ચહેરા પર માસ્ક લગાવવામાં આવ્યું હતું અને આગને કારણે માસ્ક સળગ્યું હતું, ફાયર સ્ટાફે આ મામલે તબીબી અધિક્ષકને રિપોર્ટ આપ્યો હતો તેમાં પણ સ્પાર્ક થવાથી આગ લાગ્યાની શંકા દર્શાવવામાં આવી છે. ટીબીના પ્રૌઢ દર્દી કાકુભાઇને ઓક્સિજન આપવામાં આવી રહ્યો હતો અને ચહેરા પર માસ્ક લગાવાયું હતું તો તે બીડી કેવી રીતે પી શકે? આ અંગે હોસ્પિટલના જવાબદાર અધિકારીઓને પૂછતાં તેમણે આગ કેવી રીતે લાગી તે અંગે અજાણ હોવાનું રટણ રટ્યું હતું. હોસ્પિટલના જ ફાયર સ્ટાફે સ્પાર્કથી આગ લાગ્યાનું કારણ હોવાની શંકા વ્યક્ત કરી છે ત્યારે બીડી પીતા દાઝી જવાની ઘટના બની હોય તેવું કોઇના ધ્યાને નથી, આમ છતાં મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ પણ કરાવવામાં આવ્યું નથી. હોસ્પિટલમાં કોઇ કારણસર સ્પાર્ક થતાં ઓક્સિજન પર રહેલા દર્દી કાકુભાઇ દાઝી ગયા હતા, પરંતુ હોસ્પિટલની લાપરવાહી છુપાવવા બીડી પીતા દાઝી ગયાની સ્ટોરી ઊભી કરી પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર લાશની બારોબાર અંતિમવિધિ કરી દેવાયાની પણ હોસ્પિટલ કેમ્પસમાં ભારે ચર્ચા ચાલી રહી છે, આ મામલે ડોક્ટર અને પોલીસ બંનેની ભુૂમિકા સામે અનેક સવાલો ઉઠ્યા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ તપાસ કરે તો કોરોના વખતે રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં બનેલા અગ્નિકાંડ જેવી જ ઘટના બહાર આવશે તેવો પણ નિર્દેશ મળી રહ્યો છે. સૌથી મોટી શંકા ઉપજાવતો મુદ્દાઓ 1) દર્દી ઓક્સિજન પર હતા અને ચહેરા પર માસ્ક હતું તો તે બીડી કેવી રીતે પી શકે?. 2) બીડી પીતા જ દાઝ્યા હતા તો અન્ય કોઇ દર્દી કે તેના સંબંધીએએ તેમને તે સ્થિતિમાં જોયા હતા? 3) ટીબીના દર્દી વોર્ડમાં બીડી પીતા હતા તો વોર્ડના સ્ટાફે તેમને શા માટે ન અટકાવ્યા? 4) દર્દી બીડી પીતા હતા ત્યારે વોર્ડનો સ્ટાફ ક્યાં હતો? 5) પ્રૌઢ વોર્ડમાં દાઝ્યા હતા, પોલીસમાં જાણ કરાઇ હતી તો પોસ્ટમોર્ટમ શા માટે ના કરાવાયું? 6) પોલીસે ક્યા કારણોસર કાયદાનું ઉલ્લંઘન કર્યું? શંકા ઉપજાવતા મુદ્દાઓ

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 6:24 am

આવતીકાલથી નવી સિરીઝ 'ગ્લોબલ ગુજરાતી':વિદેશમાં રહીને ભારત ને ગુજરાતનું નામ રોશન કરનારાંની સંઘર્ષ કથા

કર્મભૂમિ દુનિયાનો ગમે તે દેશ હોય, પરંતુ જન્મભૂમિ ગુજરાતને ગુજરાતીઓ ક્યારેય ભૂલતા નથી. તેઓ માત્ર પોતાનું જ નહીં, પરંતુ દેશ ને પોતાના રાજ્યનું હંમેશાં વિચારતા હોય છે. આવા જ કેટલાંક વિદેશમાં વસતા ગુજરાતીઓની સિરીઝ 'ગ્લોબલ ગુજરાતી' દિવ્ય ભાસ્કર એપ પર સોમવારથી શરૂ થઈ રહી છે. આ સિરીઝમાં આપણે વિદેશમાં વસતા ગુજરાતીઓએ કેવા કેવા મુશ્કેલ સમયમાં પણ હિંમત હાર્યા વગર સામનો કર્યો. સાઉથ આફ્રિકામાં રહેતા મુકેશ પટેલે કેવી રીતે દવાઓનું સામ્રાજ્ય ઊભું કર્યું કે પછી અમેરિકામાં પાટીદારની દીકરી બે વર્ષ પથારીવશ રહ્યા બાદ નિરાશ થયા વગર ફરીથી સફળતા મેળવે છે તો ગાંધીનગરમાં ઇન્ફોસિટીનો પ્રોજેક્ટ પૂરો કરીને ગુજરાતને આઇટી ક્ષેત્રમાં આગળ લાવનારા દિલીપ બારોટને તો કેમના ભૂલાય. માત્ર 16-17 વર્ષની વયે સામાન્ય પરિવારનો દીકરો શ્યામલ પટેલ અમેરિકા જાય છે અને ત્યાં બબ્બેવાર ફ્રોડનો ભોગ બને છે પણ આજે પોતાની ફાર્માસિસ્ટ કંપની ચલાવે છે. ઓસ્ટ્રેલિયામાં પ્રિન્ટિંગ ફિલ્ડમાં જેનો દબદબો છે તેવા રમેશ પટેલ કેવી રીતે માભોમની સેવા કરે છે. 'ગ્લોબલ ગુજરાતી' માત્ર સંઘર્ષની વાત નથી કરતું પણ એક ગુજરાતી ધારે તો ગમે તેવી મુશ્કેલીઓને પછડાટ આપીને કેવી રીતે સફળતા મેળવે છે તેની વાત કરે છે. યુવાઓને જીવનનું ભાથું આપે છે અને તેમની સલાહને માનીએ વાંચવા-જોવાનું ચૂકશો નહીં સોમવારથી દરરોજ સવારે 6 વાગ્યાથી આખો દિવસ દિવ્ય ભાસ્કર એપ પર, 'ગ્લોબલ ગુજરાતી' સિરીઝ..

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 6:06 am

મહિલા સાથે ઠગાઈ:મહિલાએ ઓનલાઈન મગાવેલા રીંગણ પરત કરવા જતાં રૂ.87 હજાર ગુમાવ્યા

ચાંદખેડામાં રહેતી મહિલાએ ઓનલાઈન રીંગણ મંગાવ્યા હતા, જેમાં નાની સાઈઝના બદલે મોટા રીંગણ આવતા તેને પાછા આપી પૈસા પરત લેવા લેવા જતા 87 હજાર ગુમાવવાનો વારો આવ્યો છે. રીંગણના રૂ.24 પાછા આપવા માટે સાઈબર ગઠિયાએ એપીકે ફાઈલ મોકલી ડાઉનલોડ કરાવી હતી. આ અંગે મહિલાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ચાંદખેડાની 53 વર્ષીય મહિલાએ 1 જુલાઈ ઝેપ્ટો પરથી શાકભાજીનો ઓર્ડર કર્યો હતો. ડિલિવરી બોયએ પાર્સલ આપતા તેમાં નાના રીંગણના બદલે મોટી રીંગણ આવી જતાં તેને બદલવાની વાત કરી હતી. જો કે ડિલિવરી બોયે તે શક્ય ન હોવાનું કહીને કસ્ટમર કેરનો સંપર્ક કરવા કહ્યું હતું. ડિલિવરી બોય પાસે નંબર ન હોઈ મહિલાએ ઈન્ટરનેટ પરથી નંબર શોધીને ફોન કરતા સામેથી કંપનીમાંથી બોલતા હોવાનું કહીને ગઠિયાએ વિશ્વાસ કેળવ્યો હતો. ગઠિયાએ મહિલાની વિગતો મેળવ્યા બાદ તેમને રીંગણના રૂ. 24 રિફંડ મોકલી આપ્યાનું કહીને એક એપીકે ફાઈલ મોકલી આપી હતી, જેને ઈન્સ્ટોલ કરવાથી રિફંડ ઓટોમેટિક મળી જશે તેમ કહ્યું હતું. મહિલાએ ફાઈલ ઈન્સ્ટોલ કરતા જ ગઠિયાએ ફોન હેક કરીને તેમની બેંકની એપમાં જઈને 3 ખાતાના પિન નંબર મેળવીને મિનિટોમાં જ રૂ. 87 હજાર ઉપાડી લીધા હતા. નાને બદલે મોટા રીંગણ આવી ગયાં હતાં - મહિલાએ ઝેપ્ટો પરથી નાના રીંગણનો ઓર્ડર કર્યો હતો. - ભૂલથી મોટા રીંગણ પહોંચતા પાછા આપવા કસ્ટમર કેર નંબર શોધ્યો. - ગૂગલ પરથી મળેલો નંબર નીકળ્યો અને ગઠિયા ભટકાઈ ગયા. - ગઠિયાએ 24 રૂપિયા રિફંડની આડમાં એપીકે ફાઇલ ડાઉનલોડ કરાવી. - એપીકે ફાઈલ ઇન્સ્ટોલ કરતા ફોન હેક થયો, અને ગઠિયાને એક્સેસ મળ્યો. - આરોપીએ 3 બેંક ખાતાના પિન નંબર રીડ કરી 87 હજાર ઉપાડી લીધા.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 6:01 am

જીવલેણ એક્સિડન્ટ ઘટાડવા એક્શન પ્લાન:કેન્દ્રના આદેશ બાદ ગુજરાતમાં 4E મોડેલ અમલમાં આવશે, અકસ્માત સ્થળે પહોંચી સૌથી પહેલાં શું કરવું? તેની અપાશે ટ્રેનિંગ

પહેલી ડિસેમ્બરે અમદાવાદના એસ.જી.હાઇવે પર નિરમા યુનિવર્સિટી પાસે હિટ એન્ડ રનમાં એક યુવાનનું મોત થયું હતું. નોકરી પર જવા માટે ગાંધીનગરથી નીકળેલા બાઇકસવાર કથનને ટક્કર મારી અજાણ્યો વાહનચાલક ફરાર થઇ ગયો હતો. મૃતકના પરિવારજનોનું આક્રંદ ભલભલા પાષાણ હૃદયના માનવીને પણ પીગળાવી દે તેવું હતું. તમે જ્યારે ઘરેથી કોઇ વાહન લઇને નોકરી ધંધા પર જવા નીકળો છો ત્યારથી માંડીને પાછા સહી સલામત ઘરે ન આવો ત્યાં સુધી પરિવારજનોનો શ્વાસ અદ્ધર રહે છે કેમ કે ગુજરાતમાં એક વર્ષમાં અંદાજે 7500 લોકો અકસ્માતમાં મૃત્યુ પામે છે. કોઇ મોટી દુર્ઘટના કે હોનારતમાં જેટલા લોકોના મૃત્યુ નથી થતાં તેટલા મૃત્યુ ફક્ત માર્ગ અકસ્માતમાં થાય છે એટલે જ એક એક્શન પ્લાન બનાવવાની જરૂર પડી છે. જેમાં દાવો કરાયો છે કે 5 વર્ષમાં અકસ્માતથી થતાં મૃત્યુદરમાં 50%નો ઘટાડો કરાશે. આજની સન્ડે બિગ સ્ટોરીમાં જાણો કે અકસ્માત ટાળી શકાય તે માટે સરકારે શું રોડમેપ બનાવ્યો છે? દિવ્ય ભાસ્કરે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના ચીફ એન્ફોર્સમેન્ટ ઓફિસર સંકેત પટેલ પાસેથી આ અંગે માહિતી મેળવી હતી. રોડ ટ્રાન્સપોર્ટ હાઇવે મંત્રાલયના ડેટા મુજબ મૃત્યુદર મામલે 2021માં ભારતમાં ગુજરાત 10મા સ્થાને હતું. જે 2022માં 9મા સ્થાને પહોંચી ગયું હતું. જેનો અર્થ એ કે ગુજરાતમાં અકસ્માતથી થતાં મોતના આંકડામાં વધારો થયો હતો. બીજીતરફ ગુજરાતમાં વાહનોની સંખ્યા પણ વધી રહી છે. રાજ્યમાં ફોર વ્હીલર વાહનો કરતાં ટુ વ્હીલર વાહનોની સંખ્યા ઘણી વધારે છે. આખા દેશમાં વાહનોની દૃષ્ટિએ ગુજરાત ચોથા નંબર પર આવે છે. ગુજરાત પહેલાં મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશનો નંબર આવે છે. ગુજરાતમાં વિશાળ સમુદ્ર કાંઠો આવેલો છે. અહીં કંડલા, પીપાવાવ, હજીરા જેવા મહત્વના બંદર છે જ્યાંથી મોટાપાયે માલ સામાનની અવર જવર થાય છે. જેના કારણે ટ્રાફિકનું ભારણ પણ રહે છે. રાજ્યમાં નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે તેમજ અન્ય રસ્તાઓ મળીને કુલ 81 હજારથી વધુ કિલોમીટરનું વિશાળ નેટવર્ક પથરાયેલું છે. ગુજરાત સરકારે અકસ્માત અટકાવવા, જાનહાનિ તેમજ ગંભીર ઇજાઓ ઘટાડવા માટે 4E એપ્રોચ અપનાવ્યો છે. 4E હેઠળ જે પગલાં લેવાશે તે નીચે મુજબ છે. 2014-2024 દરમિયાન દેશમાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. 2014માં માર્ગ અક્સ્માતોની સંખ્યા 23,721 હતી. તે 2021માં ઘટીને 15,186 થઇ છે. જો કે 2022 અને 2023માં અકસ્માતોની સંખ્યામાં અનુક્રમે 15,751 અને 16,349 જેટલો વધારો થયો હતો. રાજ્યમાં નેશનલ હાઇવે પર 56% મૃત્યદર છે.જ્યારે અન્ય રોડ પર 43% મૃત્યુદર છે. 55 મૃત્યુ 93 કિલોમીટ લાંબા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નોંધાયા છે. કુલ 1757 રાહદારી મૃત્યુમાંથી 30% મૃત્યુ ગુજરાતના નેશનલ હાઇવે પર નોંધાયા છે. અમુક એવા હાઈવે અને રોડપટ્ટા છે જેના કારણે આ સ્થિતિ સર્જાઇ છે. આવનારા સમયમાં આવી જગ્યાનું લિસ્ટ તૈયાર કરશે અને ટાર્ગેટેડ સલામતીના પગલાં લઇ સમગ્ર વિસ્તારના મૃત્યુદરને ઘટાડશે. 5 વર્ષમાં મૃત્યુદર 50% ઘટાડવાનો ટાર્ગેટગુજરાતમાં એક્સિડન્ટની સંખ્યા, જાનહાનિ અને ઇજાનું પ્રમાણ ઘટાડવા માટે એક્શન પ્લાન તૈયાર કરાયો છે. જેમાં વર્ષ 2030 સુધીમાં 50%નો ઘટાડો કરવાનો ટાર્ગેટ છે. એકશન પ્લાનમાં 2022ને પાયાના વર્ષ તરીકે ગણાયું છે અને 2030નું વર્ષ આવે ત્યાં સુધીમાં કેવી રીતે ક્રમશ: મૃત્યુદર ઘટાડવો તે નક્કી કરાયું છે. અકસ્માતમાં દર વર્ષે 7500થી વધુનાં મોતઆ અંગે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના ચીફ એન્ફોર્સમેન્ટ ઓફિસર સંકેત પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, ભારતમાં દર વર્ષે એક-દોઢ લાખ લોકો માર્ગ અક્સ્માતમાં પોતાનો જીવ ગુમાવે છે. ગુજરાતની વાત કરીએ તો દર વર્ષે 7,500 થી વધુ લોકોના મોત થાય છે અને 15 હજારથી વધુ લોકો ઇજાગ્રસ્ત થાય છે. 'ગુજરાતમાં માર્ગ અકસ્માત અને તેનાથી થતાં મોતની સંખ્યા ઘટાડવા માટે 5 વર્ષનો એક્શન પ્લાન તૈયાર કરાયો છે. રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ, નેશનલ હાઇવે ઓથોરિટી, અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ, કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ, સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ, હેલ્થ વિભાગ, શિક્ષણ વિભાગ સાથે મળીને આ એક્શન પ્લાન તૈયાર કરાયો છે.' જ્યારે કોઇ અકસ્માત થાય ત્યારે તેની પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે તેવું જણાવતા તેમણે કહ્યું કે, આવા કારણોને નિવારવા માટે અલગ અલગ વિભાગે સલામતીના પગલાં લેવાના હોય છે. બ્લેક સ્પોટ સુધારવાના, રોડ સેફ્ટી ઓડિટ, રોડ પરના મોસ્ટ વર્નેરેબલ સ્ટ્રેચીસ, તેની પરના જંક્શનની ડિઝાઇન વગેરે જેવા પગલાં રોડ એન્જિનિયરિંગને લગતા હોય છે. 25 હાઇ રિસ્ક અને હાઇ ડેન્સિટી કોરિડોર નક્કી કરાયા'ઇ-એન્ફોર્સમેન્ટને ધ્યાને રાખી રાજ્યના અલગ અલગ કુલ 25 હાઇ રિસ્ક, હાઇ ડેન્સિટી કોરિડોર નક્કી કરાયા છે. જેમાં નેશનલ હાઇવેના 14 સ્ટ્રેચનો અને રોડ એન્ડ બિલ્ડિંગના 11 જેટલાં સ્ટ્રેચનો સમાવેશ થાય છે. આ સ્ટ્રેચ પર ઇ-એન્ફોર્સમેન્ટના માધ્યમથી રોડ ડ્રાઇવિંગ બિહેવિયરને કેવી રીતે સુધારવું? ક્યા મહિના દરમિયાન ટ્રાફિક વાયોલેશન વધારે થાય છે તેને ધ્યાને લઇને સ્ટ્રેટેજી નક્કી કરાય છે. જેનો સમાવેશ એક્શન પ્લાનમાં કરાયો છે.' 'આ ઉપરાંત જે તમામ સ્ટેક હોલ્ડર વિભાગના અધિકારીઓ છે તેમને તાલીમ આપવી, કેપેસિટી બિલ્ડિંગ, જનજાગૃતિના કાર્યક્રમો, રોડ પરનું ટ્રાફિક બિહેવિયર સુધારવું વગેરેનો એક્શન પ્લાનમાં સમાવેશ કરાયો છે.' તેમણે કહ્યું કે, અકસ્માતની શરૂઆતના સમયને ગોલ્ડન અવર્સ તરીકે આપણે જાણીએ છીએ. જો આ સમયમાં અકસ્માતગ્રસ્ત વ્યક્તિને પ્રાથમિક સારવાર મળી જાય તો તેનો જીવ બચાવી શકાય છે. એટલે પોસ્ટ એક્સિડન્ટમાં પ્રાથમિક સારવાર સારી રીતે આપી શકાય તેનો સમાવેશ ફર્સ્ટ રિસ્પોન્ડિંગ ટ્રેનિંગ ઇમરજન્સી કેરના પાર્ટમાં કરાયો છે. શહેરી વિસ્તારમાં સેફ કોરિડોર બનશે'આ એક્શન પ્લાનમાં શહેરી વિસ્તારમાં પણ કેટલાક સેફ કોરિડોર ડેવલપમેન્ટનું આયોજન કરાયું છે. શહેરી કક્ષાએ ક્રોસ બેરિયર લગાવવાના, જંક્શન રિડીઝાઇન કરવાના, ટ્રાફિક કમિંગ મેજર્સ વગેરેનો પણ એક્શન પ્લાનમાં સમાવેશ કરાયો છે.' 'ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક અને ઓટોમેટિક વાહન ટેસ્ટિંગ સેન્ટર, હાઇવે પર પેટ્રોલિંગ વધારે કઇ રીતે મજબૂત કરી શકીએ તેનો પણ પ્લાન કરાયો છે. હાઇવે પર અનઓથોરાઇઝ્ડ પાર્કિંગના લીધે અકસ્માતો થતાં હોય છે તો આ બધા અકસ્માતો રેગ્યુલર પેટ્રોલિંગથી ટાળી શકાય છે.' અકસ્માત બાદ સૌથી પહેલાં પહોંચનારને ખાસ ટ્રેનિંગ'રોડ સલામતીને ધ્યાનમાં લઇને રોડની ડિઝાઇન કેવી રીતે બનાવવી તેને કેપેસિટી બિલ્ડિંગમાં આવરી લેવાયું છે. અકસ્માત થાય ત્યારે સૌથી પહેલાં જે પહોંચે તેને બાય સ્ટાન્ડર્ડ કહેવાય છે. જેને આપવાની ફર્સ્ટ રિસ્પોન્ડર ટ્રેનિંગનો મુદ્દો આ એક્શન પ્લાનમાં સમાવી લેવાયો છે.' એક્શન પ્લાનની સમીક્ષાતેમણે ઉમેર્યું કે,આ તમામ પ્લાનની મંત્રીની અધ્યક્ષતામાં, અગ્ર સચિવની અધ્યક્ષતામાં, એક્ઝિક્યૂટિવ કમિટિની મિટિંગ્સમાં, નોડલ ઓફિસર્સની મિટિંગ્સમાં સમીક્ષા કરાય છે. સૌ સ્ટેક હોલ્ડર સાથે મળીને એક્શન પ્લાનનું સારી રીતે અમલીકરણ કરી શકે અને અકસ્માત તેમજ મૃત્યુ દર ઘટાડી શકીએ તે માટે પ્રયત્ન કરીએ છીએ.' 'જિલ્લા માર્ગ સલામતી સમિતિ અને શહેર માર્ગ સલામતી સમિતિને પણ અમે આ એક્શન પ્લાન મોકલી આપ્યો છે. જિલ્લા માર્ગ સલામતીના અધ્યક્ષ જિલ્લા કલેકટર તથા શહેર માર્ગ સલામતી સમિતિના અધ્યક્ષ શહેર પોલીસ કમિશનર હોય છે. તેમની અધ્યક્ષતા હેઠળની કમિટિમાં પણ આ એક્શન પ્લાન મુજબ સમીક્ષા થાય અને અમલવારી થાય તેવું નક્કી કરાયું છે.' 'માર્ગ સલામતી બાબતે રોડ સેફ્ટી હાઇવેઝ અવારનવાર સૂચનો કરે છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ કમિટિ ઓન રોડ સેફ્ટી પણ માર્ગ સલામતી માટે રાજ્ય સરકાર અને રોડ સેફ્ટી કમિટિ ઓથોરિટીને સૂચનો કરે છે. જેના કારણે દરેક રાજ્યો તેના આયોજનો ચોક્કસ કરતાં હશે તેવું મારૂં માનવું છે. ગુજરાતના જે અકસ્માતો અને મૃત્યુ દર અંગે સંવેદનશીલતા છે તેને ધ્યાને રાખીને તમામ સ્ટેક હોલ્ડર્સ સાથેની ચર્ચા બાદ આ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. જેથી કરીને જ્યારે અમલીકરણ કરવામાં આવે ત્યારે તે વધુ સરળ અને ખૂબ ઝડપથી સારી રીતે ગ્રાઉન્ડ લેવલ પર કરી શકીએ.' વિદ્યાર્થીઓ અને ડ્રાઇવર્સ માટે જાગૃતિ કાર્યક્રમોજાગૃતિના કાર્યક્રમો અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, શાળા, કોલેજ અને જાહેર સ્થળોએ અવેરનેસ કાર્યક્રમો યોજીને મહત્તમ લોકો સુધી પહોંચી શકાય તેવું આયોજન કરાયું છે. સ્કૂલ, કોલેજની બસના ડ્રાઇવર્સ, AMTS, BRTS, ST બસના ડ્રાઇવર્સને સલામત ડ્રાઇવિંગની ટ્રેનિંગનો પણ આ એક્શન પ્લાનમાં સમાવેશ કરાયો છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 6:00 am

''8 પેસેન્જરને લઈને ઈન્ડિગોની ફ્લાઈટ ઊપડી ગઈ'':પેસેન્જરે ભાસ્કરને વીડિયો આપ્યો; વાંચો, અમદાવાદ એરપોર્ટ પર રાત્રે અટવાયેલા પેસેન્જરોની વેદના

દેશની સૌથી મોટી એરલાઇન્સ કંપની ઈન્ડિગો હાલમાં સૌથી મોટા ક્રાઈસીસમાંથી પસાર થઈ રહી છે. નવા પાયલટ રુલ્સના કારણે 2 હજારથી પણ વધારે ફ્લાઈટ્સ કેન્સલ થઈ છે લાખો મુસાફરો દેશના અલગ અલગ એરપોર્ટ પર રઝળી રહ્યા છે. આ બધું પણ એવા સમયે થઈ રહ્યું છે વિન્ટર હોલિડે સેશનમાં આ સમય પર ફ્લાઈટ્સનો ટ્રાફીક વધુ હોય છે. સોશિયલ મીડિયામાં પેસેન્જરોના આક્રોશિત કરતા વીડિયો સતત સામે આવી રહ્યા છે. આખરે આ બધું અચાનક કેમ ઊભું થયું? કોના કારણે એરપોર્ટ પર રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન જેવી હાલત થઈ? મુસાફરો કેવી રીતે પરેશાન થઈ રહ્યા છે? એરપોર્ટ પર ઈન્ડિગોના સ્ટાફ દ્વારા પેસેન્જરોને શું જવાબ આપવામાં આવી રહ્યા છે? આ તમામ સવાલોના જવાબ જાણવા ભાસ્કરની ગુજરાતના સૌથી મોટા એવા અમદાવાદના એરપોર્ટ પર પહોંચી છે. આજના ગ્રાઉન્ડ રિપોર્ટમાં આ તમામ સવાલના જવાબ જાણીશું અને પેસેન્જરોને પડતી હાલાકી અને ક્યારે સ્થિતિ સામાન્ય થશે તે પણ જાણીશું... દેશની સૌથી ભરોસાપાત્ર એરલાઈન્સ કંપની ઈન્ડિગો છેલ્લા કેટલાક દિવસથી પોતાનો ભરોસો ખોઈ બેઠી છે. છેલ્લા પાંચ-છ દિવસમાં દેશના અલગ અલગ એરપોર્ટ પર 2 હજાર કરતાં પણ વધારે ફ્લાઈટ્સ રદ્ થતા એરપોર્ટની હાલત રેલવે સ્ટેશન જેવી થઈ ગઈ છે. ભાસ્કરની ટીમ અમદાવાદના ડોમેસ્ટીક એરપોર્ટ પર પહોંચી તો અહીં પહોંચતા સ્થિતિ તો સામાન્ય જણાતી હતી પરંતુ ટર્મિનલના ગેટ નંબર 5ની પાસે આવેલા ઈન્ડિગોના ટિકિટ કાઉન્ટર પર લોકો હોબાળો કરી રહ્યા હતા. બાજુમાં એર ઈન્ડિયાનું કાઉન્ટર હતું ત્યાં એકદમ સન્નાટો હતો. એરપોર્ટની અંદર ઈન્ડિગોના પેસેન્જરોને જતા અટકાવવામાં આવી રહ્યા હતા. કોઈપણ ઈન્ડિગોનું પેસેન્જર આવે તો તેમને બહાર ઊભા કરી દેવાતા હતા. અહીં કેટલાક પેસેન્જરો સાથે અમારી ટીમે વાતચીત કરી તો ઘણા લોકોએ પોતાની વ્યથા ઠાલવી. કોઈને પરીક્ષા માટે બેંગ્લુરુ પહોંચવું હતું, કોઈને વિદેશ જવાની કનેક્ટીંગ ફ્લાઈટ્સ મુંબઈથી પકડવાની હતી, કોઈને હોસ્પિટલ પહોંચવાનું હતું, કોઈને લગ્નમાં જવાનું હતું તો કોઈ કપલને હનીમુન કરવા જવાનું હતું.... આવી અલગ અલગ વ્યથા ઠાલવતા મુસાફરો અમને અમદાવાદ એરપોર્ટ પર મળ્યા. ભાસ્કરની ટીમ પાંચ નંબરના ગેટ પર પહોંચી તો કોલકાતાના રહેવાસી બે લોકો અમને મળ્યા. અમે તેમની સાથે વાતચીત કરી તો તેમની હાલત રડવા જેવી થઈ ગઈ હતી.કોલકાતાના આશિષ ઝાએ અમને જણાવ્યું કે, હું મારા બિઝનેસના કામથી ગયા રવિવારનો કોલકાતાથી સુરત આવ્યો હતો. મારે બપોરે 1:00 વાગ્યાની સુરતથી કોલકાતાની ફ્લાઈટ હતી. એરપોર્ટ પર પહોંચ્યા તો ખબર પડી કે ફ્લાઇટ ડીલે છે થોડી વાર લાગશે. અમે ઘણી રાહ જોઈ કોઈ જવાબ ના આપતાં છેલ્લે અમે અને અમારી સાથે અન્ય લોકોએ હોબાળો મચાવ્યો. બાદમાં વિડીયો બનાવવા લાગ્યા અને તે વિડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં તે લોકોએ અમને એક કેબ કરી આપી. સુરતથી અમદાવાદ માટે અને કહ્યું કે તમને અમદાવાદ એરપોર્ટ પરથી કોલકાતા જવાની ફ્લાઈટ મળી જશે. અમે ના પાડી કે અમે અમદાવાદ નહીં જઈએ. અમે અહીં સુરતથી જ કોલકત્તા જઈશું. પરંતુ તેમણે કહ્યું કે, અહીંથી કોલકાતા જવું કોઈ પણ સંજોગોમાં શક્ય નથી એટલે અમે તમને અહીંથી જ અમદાવાદનો બોર્ડિંગ પાસ ઇસ્યુ કરીએ છીએ. આ બોર્ડિંગ પાસ અમદાવાદ થી કોલકાતા જતી 10:30 વાગ્યાની ફ્લાઈટનો છે. તમે ત્યાં અમદાવાદ એરપોર્ટ પર આ બોર્ડિંગ પાસ બતાવજો જેથી રાતની જે ફ્લાઈટ હશે તેમાં તમને કોલકત્તા મોકલી આપશે. અમે ચાર પાંચ વાગ્યાની વચ્ચે સુરતથી અમદાવાદ આવવા માટે નીકળ્યા. જેવા અમે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા અને આ બોર્ડિંગ પાસ ક્યારના અમે બતાવતા હતા પરંતુ અમને અંદર એન્ટ્રી જ આપવામાં ન આવી. સવારના ભૂખ્યા તરસ્યા અમે એરપોર્ટ પર આમ તેમ રઝળી રહ્યા છીએ. પરંતુ અમારા ઘરે જવાના કોઈ જ ઠેકાણા નથી. મારી પત્ની બીમાર છે તેને હોસ્પિટલ લઈ જવાની છે. મારું કોલકાતા ઘરે પહોંચવું ખૂબ જ જરૂરી છે, પરંતુ આ લોકો મારું સાંભળતા નથી અન્ય ફ્લાઈટનો હું ઓપ્શન જોઉં છું તો ત્યાં રેટ એટલા બધા બતાવે છે કે જે હું એફોર્ડ કરી શકું તેમ નથી. હવે અમે શું કરીએ અમને કંઈ જ ખબર નથી પડતી. બે પેસન્જરો ઈન્ડિગોના કાઉન્ટરની અંદર હતા. જેમણે જણાવ્યું કે, તેમણે ઈન્ડિગો એરલાઈન્સ પર આરોપ લગાવ્યો કે, એક ફ્લાઈટ ફક્ત આઠ પેસેન્જરોને લઈને બેંગ્લોર પહોંચી ગઈ છે. અમારા જેવા બોર્ડિંગ પાસવાળા 45 પેસેન્જરો છે પરંતુ ફક્ત 8 પેસેન્જરોને ફ્લાઈટમાં બેસાડવામાં આવ્યા. આ ફ્લાઈટનો વીડિયો પણ અમારી પાસે છે જ્યારે આ ફ્લાઈટ નીકળી ત્યારે અમે ત્યાં બહાર જ ઊભા હતા અમારી સામે પેસેન્જર ભર્યા વગરની ખાલી ફ્લાઈટ ફક્ત 8 પેસેન્જરોને લઈને ઉપડી ગઈ. અત્યારે આ લોકો બરાબર જવાબ આપતા નથી. અમે અન્ય એક પેસેન્જરને મળ્યા જે ખૂબ જ ચિંતામાં હતા. તેમણે તેમનું નામ આદિત્ય પાઠક જણાવ્યું અને અને કહ્યું કે, હું અમદાવાદમાં રહું છું. બેંગ્લુરૂમાં એમબીએ ફાઇનાન્સનો અભ્યાસ કરું છું. ત્યાં મારી છેલ્લા સેમેસ્ટરની એક અગત્યની પરીક્ષા છે. સવારે આઠ વાગ્યાની મારી અમદાવાદથી બેંગ્લુરૂની ફ્લાઈટ હતી. સવારે અહીં પહોંચ્યા તો ખબર પડી કે ફ્લાઇટ ડીલે છે ડીલે કરતા કરતા બપોર થઈ ગઈ સાંજ પડી ગઈ અને છેલ્લે એવી ખબર પડી કે ફ્લાઇટ જ કેન્સલ છે. જો હું આ પરીક્ષા નહીં આપું હું ગેરહાજર રહીશ તો મારું આખું વર્ષ બગડશે તેનું જવાબદાર કોણ? અત્યારે ઈન્ડિગો વાળા કહી રહ્યા છે કે અમે રિફંડ કરી દઈએ અમારે રિફંડની કોઈ જ જરૂર નથી. તેઓ કહેતો હોય તો થોડા પૈસા અમેં વધારે આપી દઈએ, પરંતુ અમને અમારા સ્થાન ઉપર પહોંચાડે.. મારી પરીક્ષા છે મારું બેંગ્લુરૂ પહોંચવું ખૂબ જ જરૂરી છે. ટ્રેનની સ્થિતિ તમે જાણો છો કે તાત્કાલિક રિઝર્વેશન મળશે નહીં બસમાં જઈશ તો ખબર નહીં ક્યારે પહોંચીશ? હવે હું શું કરું? અમે ઈન્ડિગોના મેનેજમેન્ટ સાથે વાતચીત કરી. ભાસ્કરની ટીમે પૂછ્યું કે, પેસેન્જરોને ઘણી તકલીફ પડી રહી છે. બરાબર જવાબ આપવામાં નથી આપી રહ્યા? તેના માટે ઈન્ડિગો મેનેજમેન્ટ દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તો ઓન કેમેરા ઈન્ડિગોના સ્ટાફે જણાવ્યું કે, અમે તમામ પેસેન્જરોને જવાબ આપવા માટે જ અહીં કાઉન્ટર પર ઊભા છીએ. પેસેન્જરોને રિફન્ડ આપવામાં આવી રહ્યું છે અથવા અલ્ટરનેટીવ ઓપ્શન આપવામાં આવી રહ્યો છે. અમે પૂછ્યું કે, રાત્રે 3-4 વાગ્યે કેટલાક લોકોની મુંબઈથી કે દિલ્હીથી કનેક્ટીંગ ફ્લાઈટ છે, ત્યાંથી તે લોકોને અન્ય દેશમાં જવાનું છે. તેમના માટે શું કરવામાં આવી રહ્યું છે? ત્યારે પણ ઈન્ડિગોના મેનેજમેન્ટે જવાબ આપ્યો કે પેસેન્જરોને અલ્ટરનેટીવ ઓપ્શન આપવામાં આવી રહ્યો છે. આવું બોલતા જ પાછળથી બધા જ પેસેન્જરો બોલવા લાગ્યા કે તમે કોઈ અલ્ટરનેટીવ ઓપ્શન આપ્યો જ નથી. ક્યારના બધા લોકો અહીં છેલ્લા 15-20 કલાકથી ઉભા છે કોઈ વ્યવસ્થા કરી આપી હોત તો અત્યારે આટલી બધી ભીડ ન હોત અહીંયા... અલ્ટરનેટીવ ઓપ્શન એટલે કે અન્ય ફ્લાઈટમાં જવાની વ્યવસ્થા. ઈન્ડિગોનો સ્ટાફ ભલે એમ કહે કે અમે અન્ય વ્યવસ્થા કરી રહ્યા છે પરંતુ હકીકતમાં આવું કંઈજ ગ્રાઉન્ડ પર દેખાતું નથી. બધા જ લોકો હેરાન થઈ રહ્યા છે. કોલકાતાના શહેઝાદ ખાને અમને મળ્યા. તેમણે જણાવ્યું કે, હું દુબઈમાં કામ કરું છું. મેં દુબઈથી કોલકાતાની કનેક્ટીંગ ફ્લાઈટ બુક કરી હતી, જે દુબઈથી અમદાવાદ અને અમદાવાદથી કોલકાતા ઉતારવાની હતી. હું દુબઈથી નીકળ્યો ત્યારે પણ ફ્લાઈટ ડીલે ચાલતી હતી. દુબઈના એરપોર્ટ ઉપર જ મેં 24 કલાક કાઢ્યા. મને ખ્યાલ તો આવી હતો કે અમદાવાદ પહોંચતાં કદાચ કંઈક આવી હાલત ફરી થઈ શકે છે અને અહીં પહોંચ્યો તો એવું જ જોવા મળ્યું. અત્યારે હું સવારનો ખાધા પીધા વગરનો ઊભો છું. મારે કોલકત્તા જવું છે. મારી વાઈફે પુત્રને જન્મ આપ્યો છે. તેને જોવા માટે અને મળવા માટે હું મારી જોબ પરથી ખાસ રજા લઈને બે ચાર દિવસ માટે દુબઈથી કોલકાતા માટે આવ્યો હતો, પરંતુ અહીં આવતા એટલો બધો હેરાન થયો કે, ન પૂછો વાત... જીવનમાં પહેલીવાર ઈન્ડિગોની ફ્લાઈટમાં બેઠો અને પહેલી સવારીમાં જ એટલો ખબર અનુભવ થયો કે બીજી વાર આ ફ્લાઈટમાં બેસવાની ભૂલ નહી કરું. આ લોકો અમને એરપોર્ટની અંદર પણ નથી જવા દેતા, અમે હોબાળો કરીએ તો બે સમોસા અને પાણી બોટલ લાવીને પકડાવી દે છે. જાણે અમે કંઈ ભીખારી છીએ? શું ઈન્ડિગોના 2 સમોસા ખાવા માટે અમે અહીં આવ્યા છીએ? અહીં ચાર્જીંગની કોઈ વ્યવસ્થા નથી. મારો ફોન બંધ થઈ ગયો છે. અન્ય એર લાઈન્સની ટિકિટ જોવું છું તો રેટ એટલા બધા છે કે તે પોસાય તેમ નથી. ઈન્ડિગોના સ્ટાફને કહીને કંઈ મતલબ નથી કારણ કે, છેલ્લા 3-4 દિવસથી આ લોકો પણ બધાને હેન્ડલ કરી રહ્યા છે. અમને ધીરેન પટેલ નામના એક NRI મળ્યા. તેમને અમેરિકાના ડલ્લાસ જવાનું છે. જેના માટે તેમની કનેક્ટીંગ ફ્લાઈટ છે. ધીરેનભાઈ 15 દિવસ માટે તેમના બહેનના લગ્ન માટે આવ્યા હતા. હવે તેમની રજા પૂર્ણ થતાં તેઓ અમેરિકા જવા નીકળ્યા છે. જ્યાં તેઓ જોબ કરે છે. ધીરેન પટેલના જણાવ્યા મુજબ મારી પહેલી ફ્લાઈટ અમદાવાદથી મુંબઈની ઈન્ડિગોની છે. બાદમાં મુંબઈથી ઈસ્તમબુલ અને પછી ત્યાંથી ડલ્લાસની ફ્લાઈટ ટર્કિશ એરલાઇન્સની છે... અહીં ઈન્ડિગોથી અમને જવાબ આપવામાં આવ્યો કે, તમે ટર્કિશ એરલાઇન્સમાં જાણ કરો. તેઓ તમારી વ્યવસ્થા કરી આપશે. અમે ટર્કિશ એરલાઇન્સમાં ફોન કર્યો તો તેમણે અમને કહ્યું કે, અમને ઈન્ડિગો એરલાઈન્સ તરફથી તમારી ફ્લાઈટ કેન્સલેશનની કોઈ જ જાણ કરવામાં નથી આવી એટલે ટર્કિશ એરલાઇન્સવાળા પણ અમે કોઈ જ મદદ કરી શકે તેમ નથી. જો ઈન્ડિગો એરલાઈન્સવાળા ટર્કિશ એરલાઇન્સને જાણ કરે તો તેઓ અમારી મદદ કરી શકે, પરંતુ ઈન્ડિગો એરલાઈન્સ તરફથી કોઈ જ કોમ્યુનિકેશન કરવામાં નથી આવી રહ્યું. ઈન્ડિગો દ્વારા અમને પણ કોઈ મેઈલ કે મેસેજ મળ્યો નથી કે તમારી ડીલે છે કે રદ છે. કમ સે કમ અમને જાણ કરવી જોઈએ ને જેથી કરીને અમે અમારી બીજી કોઈ વ્યવસ્થા કરી શકીએ. અમે અન્ય એક પેસેન્જર વિમલ પ્રજાપતિને મળ્યા તેમણે કહ્યું કે, હું પેરા નેશનલ પ્લેયરનો કોચ છું. દિલ્હીમાં પેરા રાયફલ ચેમ્પિયનશિપ શિપની મેચ છે તો તમે વિચારો કે મારે દિલ્હી પહોંચવું કેટલું જરુરી છે. મારી ફ્લાઈટ સવારે સાડા ચાર વાગ્યાની હતી. બાદમાં તેને 11:15 વાગ્યે રીશિડ્યૂલ કરવામાં આવી. અત્યારે રાત થઈ ગઈ છે પરંતુ ફ્લાઈટ મળશે કે નહીં, તેના કોઈ જ ઠેકાણા દેખાતા નથી. આગામી પેરા ચેમ્પિયનનો વર્લ્ડ કપ થવાનો છે તેના સિલેક્શન માટેની અત્યારે નેશનલ મેચ ચાલી રહી છે એટલે તમે વિચારો કે મારું દિલ્હી પહોંચવું કેટલું જરુરી છે. ગોવા ફરવા જતા 3 કપલ અમને મળ્યા. જેમની સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, અમે બધા ડોક્ટર છીએ અને રાજસ્થાનના ડુંગરપુરથી આવ્યા છીએ. અમે બધા ગોવા ફરવા જઈ રહ્યા છે. અમારામાંથી એક કપલના લગ્ન તો હમણા 4 દિવસ પહેલાં જ થયા છે. અને તેઓ તેમનું હનીમૂન માણવા ગોવા જઈ રહ્યા છે. પરંતુ અમે જ્યારે અહીં અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા તો અમને ખબર પડી કે અમારી ફ્લાઈટ પણ કેન્સલ છે. અમે રાજસ્થાનથી નીકળતી વખતે ઓનલાઈન ચેક કર્યું હતું તો ફ્લાઈટ સમયસર બતાવતી હતી એટલે અમે અહીં આવવા માટે નીકળી ગયા હતા. અત્યારે અમને બસ કે ટ્રેન પણ મળવી મુશ્કેલ છે. ગોવામાં અમે અમારી હોટલ સહિત બધુ બુકીંગ કરી રાખ્યું છે હવે તેના રુપિયા કોણ આપશે? અહીં ફ્લાઈ્ટસનું તો રીફંડ મળી જશે પરંતુ ત્યાં ગોવાના રુપિયા તો અમારા માથે જ પડશે ને.... સમગ્ર પ્રકરણ કેવી રીતે શરુ થયું? ઇન્ડિગો એરલાઈન્સ છેલ્લા કેટલાક અઠવાડિયાથી ફ્લાઇટ વિલંબ અને નાની ટેકનિકલ ખામીઓનો સામનો કરી રહી હતી. એરલાઇન્સ આના માટે ક્યારેક હવામાનને તો ક્યારેક એરપોર્ટને જવાબદાર ગણાવતું હતું. પરંતુ વાસ્તવિક દબાણ ત્યારે શરૂ થયું જ્યારે સરકારે ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન (FDTL) માટે નવા નિયમો લાગુ કર્યા. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ 1 નવેમ્બરના રોજ ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન (FDTL) ના બીજા તબક્કાનો અમલ કર્યો હતો. પ્રથમ તબક્કો 1 જુલાઈથી અમલમાં આવ્યો હતો. જે પાઇલટ્સ અને અન્ય ક્રૂ સભ્યો માટે કાર્ય સંબંધિત નિયમ છે. તેનો મૂળ હેતુ પાઇલટ્સને થાકથી બચાવવાનો હતો. પરંતુ સ્ટાફની કમીનો સામનો કરી રહેલી ઈન્ડિગો એરલાઈન્સ માટે આ નિયમ મુસીબત બની ગયો. FDTL નવા નિયમોમાં પાઇલટ્સ માટે ફરજિયાત આરામની જોગવાઈ કરાઈ હતી. આના પરિણામે મોટી સંખ્યામાં પાઇલટ્સને આરામ પર મૂકવામાં આવ્યા, જ્યારે ઇન્ડિગો પાસે જરૂરી વધારાનો પૂરતો સ્ટાફ નહોતો. જેના કારણે એરલાઇનને ઘણી ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી અને અહીંથી મોટી સમસ્યા શરૂ થઈ. દેશના તમામ મોટા એરપોર્ટ પર હોબાળો વધતો ગયો ત્યારે , નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ એરલાઇન્સ, ખાસ કરીને ઇન્ડિગોને 10 ફેબ્રુઆરી, 2026 સુધી કામચલાઉ રાહત આપી દીધી. પાઈલટ્સને સાપ્તાહિક આરામના બદલે કોઈપણ રજા ન આપવાનો નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો છે. આનાથી પાઇલટ રોટેશન સરળ બનશે અને એરલાઇનમાં થોડી સ્થિરતા આવશે. ઇન્ડિગોનો દાવો છે કે આ નિયમને કારણે પાઇલટ્સ અને અન્ય સ્ટાફની અછત સર્જાઈ હતી અને તેના સમગ્ર ઓપરેશનલ પર અસર પડી આને સુધારવામાં સમય લાગશે.પાઇલટ યુનિયનનો આરોપ છે કે ઇન્ડિગો મેનેજમેન્ટ અગાઉથી જાણતા હોવા છતાં નવા નિયમો માટે તૈયારી કરવામાં નિષ્ફળ ગયું. તેમનો દાવો છે કે વધુ ભરતીઓ થવી જોઈતી હતી, પરંતુ એરલાઇને તેના બદલે સ્ટાફમાં ઘટાડો કર્યો.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 6:00 am

સાઇકલયાત્રાનું આયોજન:5થી 14 વર્ષનાં 45 બાળકોની ચોટીલા સુધીની સાઇકલયાત્રા

અડાલજ પાસેના જમિયતપુરા ગામ પાસેના શાર્દૂલ ગુરુકુળ દ્વારા શ્રદ્ધાયાત્રાનું આયોજન કરાયું છે. 5થી 14 વર્ષનાં 45 જેટલાં બાળકોએ શનિવારે જમિયતપુરા ગામથી સાઇકલ યાત્રા શરૂ કરી હતી, જે 12 ડિસેમ્બરે ચોટીલાસ્થિત ચામુંડા માતાજીના મંદિરે પૂર્ણ થશે. બાળકો રોજ 40 કિલોમીટર સાઇકલ ચલાવશે. 7 દિવસીય યાત્રા દરમિયાન માર્ગમાં આવતાં ગામડાંમાં રાત્રિરોકાણ કરાશે. ગામડાંમાં રોકાણ દરમિયાન, બાળકો ગ્રામજનો સાથે ભળી જશે, તેમની સાથે પરંપરાગત રમતો રમશે અને સાંજે પ્રભુભક્તિમાં લીન થઈ ભજન-કીર્તન કરશે. શાર્દૂલ ગુરુકુળ પરંપરાના વ્યવસ્થાપક હિતેશ બી. ચૌહાણના જણાવ્યા અનુસાર, ‘આ યાત્રાનો હેતુ માત્ર એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવાનો નથી, પરંતુ બાળકોમાં સંસ્કારસિંચન, શિસ્ત, શ્રદ્ધા અને સાહસિકતાના ગુણો વિકસાવવાનો છે. આધુનિક યુગમાં બાળકો આપણી મૂળ સંસ્કૃતિ અને ગ્રામીણ જીવનના ધબકારને પ્રત્યક્ષ અનુભવે તે આ યાત્રાનો મુખ્ય ધ્યેય છે.’

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 5:56 am

RTO ખાતે સર્વરના ધાંધિયા:સર્વર ડાઉન રહેતાં RTOના પોર્ટલ પરથી લર્નિંગ લાઇસન્સ નથી મળતું

આરટીઓના સારથી પોર્ટલ પરથી લોકો લર્નિંગ લાઇસન્સ માટેની ટેસ્ટ આપી શકે છે પણ 3 દિવસથી પોર્ટલ અટકી-અટકીને ચાલતાં રોજ આવતા 200થી 250 લોકોને ધક્કા ખાવા પડ્યા હતા. કામધંધા છોડીને આવતા લોકોને સર્વર ડાઉન રહેવાની સમસ્યાના કારણે હાલાકી ભોગવવી પડે છે. લોકો માટે સુવિધા ઊભી કરવાના નામે માત્ર ફી વધારી દેવાય છે પરંતુ લોકોની હાલાકી ઓછી થતી નથી. આરટીઓમાં વર્ષો જૂની સિસ્ટમ ચાલવાના કારણે સતત સર્વર ડાઉન થવાની સમસ્યા જોવા મળે છે. વાડજના રહીશ 2 ડિસેમ્બરે લર્નિંગ લાઇસન્સ માટે અપોઇન્ટમેન્ટ લેવા ગયા હતા પણ સર્વર ડાઉન રહેતાં 3 ડિસેમ્બરની અપોઈન્ટમેન્ટ અપાઈ હતી. ફરીથી સર્વર ડાઉન રહેતાં ટેસ્ટની કામગીરી થઈ શકી નહોતી. 2 દિવસથી કામધંધો છોડીને આવતા લોકોને પરિવહન વિભાગની સમસ્યાના કારણે મુશ્કેલી સહન કરવી પડે છે. અધિકારીઓ પાસેથી સર્વર ડાઉન રહેવાનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાતું નથી. સમસ્યાનો ગાંધીનગરથી ઉકેલ આવી શકશે એવો જવાબ આપી અધિકારીઓ જવાબદારીમાંથી છટકી જાય છે. મેઈન્ટેનન્સનું કામ ખાનગી કંપનીને સોંપવું જોઈએપૂર્વ આરટીઓ જે. એન. બારેવાડિયાએ કહ્યું કે એનઆઈસી દ્વારા સર્વર ચલાવાતું હોય છે. જોકે સર્વરનું યોગ્ય મેઇન્ટેનન્સ ન થતાં વાંરવાર સમસ્યા સર્જાય છે. સરકારે એનઆઇસી સાથેના કરાર રદ કરીને ખાનગી કંપનીને મેઇન્ટેનન્સની કામગીરી આપવી જોઈએ. જે પણ સરકારી વિભાગમાં સર્વરના મેઇન્ટેનન્સની કામગીરી એનઆઈસીને સોંપવામાં આવે છે તે તમામ જગ્યાએ સર્વર ડાઉન થવાની સમસ્યા રહેતી હોય છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 5:55 am

ડ્રાઇવિંગ ટેસ્ટમાં કરાશે AIનો ઉપયોગ:વસ્ત્રાલ આરટીઓમાં હવે એઆઈથી ડ્રાઇવિંગ ટેસ્ટનું રિઝલ્ટ તૈયાર કરાશે

વસ્ત્રાલ આરટીઓના ડ્રાઈવિંગ ટેસ્ટમાં એઆઈ અપગ્રેડેશનની કામગીરી થવાના કારણે 11થી 17 ડિસેમ્બર સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેશે. ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર એઆઈ સિસ્ટમ લગાવાયા બાદ વાહનચાલક પાસ છે કે ફેલ તેનું પરિણામ ઓટોમેટિક જનરેટ થશે. અત્યાર સુધી આ કામગીરી મેન્યુઅલી થતી હતી, જેમાં ઈન્સ્પેક્ટર વીડિયો સર્વેલન્સના આધારે અરજદારને પાસ કે ફેલ કરતા હતા. જોકે હવેથી ખાનગી કંપનીને કામગીરી સોંપી એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટનું પરિણામ જાહેર કરાશે. નવી ટેક્નોલોજી અપગ્રેડ થવાના કારણે ઓછા માનવીય હસ્તક્ષેપ સાથે વીડિયો એનાલિટિક ટેસ્ટ કરાશે. જૂની સિસ્ટમમાં ગ્રાઉન્ડ બેઝ્ડ ટેક્નોલોજીનો ઉપયોગ કરી ડ્રાઈવિંગ ટેસ્ટ લેવાય છે. નવી સિસ્ટમમાં એઆઈની સાથે વીડિયો એનાલિટિક ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે. આ 7 દિવસની એપોઇન્ટમેન્ટની તારીખો બદલાશેવસ્ત્રાલ આરટીઓમાં સરેરાશ દરરોજ 250 લોકો ડ્રાઈવિંગ ટેસ્ટ માટે આવતા હોય છે. સાત દિવસ સુધી ડ્રાઈવિંગ ટેસ્ટ બંધ રહેશે ત્યારે આ સમયગાળા દરમિયાન એપોઇન્ટમેન્ટ લેનારા લોકોના ડ્રાઇવિંગ ટેસ્ટને રિશિડ્યુલ કરાશે. આવનારા દિવસોમાં કામના કલાકો વધારીને એક્સ્ટ્રા સ્લોટમાં લોકોને અપોઇન્ટમેન્ટ આપી ટેસ્ટ લેવાશે. નવી ટેક્નોલોજીમાં આટલી બાબતોનું ધ્યાન રખાશે - સરેરાશ સ્પીડ, સ્ટાન્ડર્ડ ડિરેક્શન અનુસરાય છે કે નહીં, ફોરવર્ડ અને રિવર્સ મૂવમેન્ટ ટ્રેક કરાશે, ટેસ્ટમાં સ્ટોપેજની સંખ્યા અને સમય મર્યાદા

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 5:54 am

શકરી તળાવનું આજે લોકાર્પણ:મંદિર હોવાથી શકરી તળાવને પૌરાણિક ઘાટની થીમ અપાઈ

ફર્સ્ટ પર્સનજ્યારે અમે સરખેજના શકરી તળાવનો પ્રથમ સરવે કર્યો ત્યારે તેની હાલત જોઈને ખરેખર ચોંકી ગયા હતા. તળાવની આજુબાજુ દબાણો એટલાં બધાં હતાં કે અમુક જગ્યાએ પહોંચવું મુશ્કેલ હતું. ડેવલપમેન્ટના નામે અહીં કશું જ ન હતું અને તળાવ પોતાની અસલી ઓળખ ગુમાવી રહ્યું હતું. તેથી સૌથી પહેલાં દબાણો દૂર કરવા સૂચવ્યું. સામાન્ય રીતે તળાવ ડેવલપમેન્ટમાં વોકવે, પાળી અને આધુનિક સુવિધાઓ બનાવવામાં આવે છે, પરંતુ આ તળાવ માટે અમારો વિચારો કંઈક જુદા હતા. અહીં આવેલું પ્રાચીન મંદિર અને તેની વાવને હું માત્ર સ્ટ્રક્ચર માનતો નહોતો, તે આ જગ્યાની આધ્યાત્મિક ઓળખ હતી. તેથી અમને વિચાર આવ્યો કે આપણે પૌરાણિક ઘાટોથી પ્રેરિત થીમ પર આ તળાવને ડિઝાઇન કરીએ, જેથી આધુનિકતા વચ્ચે પણ મંદિરનું આધ્યાત્મ જળવાઈ રહે. ડિઝાઇન કરતી વખતે અમે ખાસ ધ્યાન રાખ્યું કે, કોંક્રીટનું જંગલ ન સર્જાય, જેથી આરસીસીની જગ્યાએ બધા જ કિનારા પર હરિયાળી દેખાય તે રીતે તેને ડિઝાઇન કર્યું. > આકાશ પટેલ, પ્રોજેક્ટ ડિઝાઇનર તળાવની ખાસિયત • બે ફેઝમાં ડેવલપમેન્ટ કરાયું • કુલ ક્ષેત્રફળ: 78,858.49 ચો.મી. • ડેવલપમેન્ટ: 34676 ચો.મી. • તળાવ ઊંડું કરી સ્ટોન મશીનરી, ટો-વોલ બનાવાઈ • તળાવની ફરતે 3 ગેટ, 2 ફુવારા • રમતગમતનાં સાધનો • 5500 ચોરસ મીટરમાં બગીચો •વોકવે, પ્લાન્ટેશન એરિયા

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 5:53 am

સન્ડે બિગ સ્ટોરી:ગોતા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્વિમિંગ પૂલ અને 13થી વધુ રમતોની સુવિધા

ગોતા વોર્ડમાં 43.12 કરોડના ખર્ચે તૈયાર થનારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્વિમિંગ પૂલ સહિત વિવિધ 13થી વધારે રમતો માટેની જગ્યા તૈયાર કરાશે. 18824 ચોરસ મીટર જગ્યામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સાથે વિવિધ રમત માટે કોર્ટ પણ તૈયાર કરાશે. આ વિસ્તારના 5 લાખ કરતાં વધારે નાગરિકોને આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સરળતાથી ઉપયોગી બને તેવી સુવિધા ઉપલબ્ધ હશે. કોમનવેલ્થ કે ઓલિમ્પિક ગેમ માટે જો પ્રેક્ટિસ મેચની જરૂર હોય તો ઇન્ટરનેશનલ કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિવિધ રમતોની સુવિધાથી સજ્જ રીતે મ્યુનિ. બનાવી રહ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ગોતા ખાતે બનાવવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરાશે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 2027માં તૈયાર થઈ જશે. આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ ધરાવતા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્થાનિક નાગરિકોને પણ લાભ મળશે. નાગરિકો અહીં સ્વિમિંગ પૂલ તેમ જ વિવિધ ગેમની કોર્ટનો ઉપયોગ કરી શકશે. આગામી દિવસોમાં ભાડજ ખાતે પણ એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઊભું કરવાની વિચારણા છે, જેથી શહેરમાં વિવિધ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય ગુણવત્તા ધરાવતા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થશે. જે કોમનવેલ્થ કે ઓલિમ્પિક ગેમમાં ઉપયોગી રહેશે. વારદીઠ ભાવમાં 15 હજારનો વધારોઘુમામાં 32471 ચોરસ મીટર જગ્યામાં 54 કરોડના ખર્ચે મિની સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બનાવાશે. નવ વિકસિત વિસ્તારમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્સની સુવિધા શરૂ થયા બાદ સાઉથ બોપલ, શેલા, ઘુમાના 4થી 6 લાખ નાગરિકોને તેનો ફાયદો થશે. જોકે તેની જાહેરાત બાદ વર્ષમાં વાર દીઠ જમીનના ભાવમાં રૂ.15 હજારનો વધારો થયો છે. ગત વર્ષે ઘુમામાં વારદીઠ જમીનનો ભાવ 50 હજાર હતો, જે વધીને 65 હજાર થયો છે. મિની સ્પોર્ટ્સ કોમ્પલેક્સની કામગીરી બે વર્ષમાં પૂરી કરાશે. આટલી રમતો હશે: જિમનેસ્ટિક, મલ્ટીપર્પઝ કોર્ટ, ટેબલ ટેનિસ, સ્ક્વોશિ, જિમ, બાસ્કેટ બોલ, પિકલ બોલ, ફૂટબોલ ગ્રાઉન્ડ, સ્વિમિંગ પૂલ, બોક્સ ક્રિકેટ હશે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં શું શું હશે? •110 ટુવ્હીલર પાર્કિંગ •71 કાર પાર્કિંગ •સ્વિમિંગ પૂલ •ટેનિસ કોર્ટ •બાસ્કેટ બોલ •કબડ્ડી કોર્ટ •રેસ્ટોરાં•આઉટડોર જિમ •બેડમિન્ટનનાં 4 કોર્ટ •વોલીબોલ કોર્ટ •જિમ્નેસ્ટિક કોર્ટ•નેટબોલ કોર્ટ •ઇન્ડોર હોકી કોર્ટ •યોગ માટે હોલ •ટેબલ ટેનિસ કોર્ટ•ક્લામ્બિંગ વોલ •પિકલ બોલ કોર્ટ

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 5:46 am

ભાસ્કર એક્સક્લુસિવ:પત્નીનું નામ ગુનામાં ન હોવાથી તેનું બેંક ખાતું અનફ્રીઝ કરવા હાઈકોર્ટનો આદેશ

સરકારી અધિકારી પતિ સામે આવક કરતાં વધુની સંપત્તિ હોવાના કેસમાં પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી.પતિ સામે કેસ ચાલી રહ્યો હતો તે દરમિયાન એસીબીએ પત્નીનું બેંક એકાઉન્ટ પણ સીઝ કર્યું હતું. પત્નીએ એસીબીમાં અરજી કરી હતી કે તેના પતિ સાથે તેને વિખવાદ ચાલતો હોવાથી તેણે છૂટાછેડાની અરજી કરી છે, જે પેન્ડિંગ છે, માટે તેનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી શકાય નહિ. એસીબીએ બેંક એકાઉન્ટ અનફ્રીઝ ન કરતા પત્નીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે એસીબી પાસેથી તપાસના કાગળ અને પત્ની તરફથી છૂટાછેડાની અરજીના પેપર જોયા બાદ પત્નીનું બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા આદેશ કર્યો છે. અમદાવાદથી સુરતમાં બદલી કરીને ગયેલા સરકારી અધિકારીની બેનામી સંપત્તિના કેસમાં 2022માં ધરપકડ કરાઈ હતી. એન્ટી કરપ્શન બ્યુરોએ અધિકારીની પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ, 1988 હેઠળ ધરપકડ કરી હતી. તપાસમાં બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાયાં હતાં, જેમાં પત્નીનું બેંક એકાઉન્ટ પણ હતું. આથી પત્નીએ હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે તેના પતિની સામે એસીબીની તપાસ ચાલે છે. તેમાં એસીબી પત્નીનું બેંક એકાઉન્ટ શા માટે ફ્રીઝ કરી દે છે? તપાસ એજન્સી તેમની વચ્ચેના સંબંધો વિશે જાણતી નથી. મનમેળ ન હોવાથી તેઓ 2020થી અલગ રહે છે. પતિ પાસે છૂટાછેડા, ભરણપોષણની અરજી પેન્ડિંગ છે. પત્ની પતિથી અલગ રહેતી હોવાથી તેને પોતાની આવકમાંથી ખર્ચ કરવાના રહે છે. આવા સમયે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરતા તેમને પારાવાર મુશ્કેલી પડી રહી છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 5:43 am

સિટી એન્કર:દાણચોરી પર બાજનજર રાખતું એર ઇન્ટેલિજન્સ યુનિટ, 1 મહિનામાં રૂ.267 કરોડની કીમતી વસ્તુઓ પકડી પાડી

સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ (એઆઈયુ)એ શંકાના આધારે હાથ ધરેલા ચેકિંગ દરમિયાન છેલ્લા એક મહિનામાં રૂ. 267 કરોડની દાણચોરીઓ ઝડપી પાડી છે. મુસાફરો પાસેથી મગાવેલી હાઈ-વેલ્યુ પ્રોડક્ટ્સ દસ્તાવેજો વગર લાવવામાં આવી રહી હોવાથી જપ્ત કરાય છે. છેલ્લા એક મહિનામાં કસ્ટમ્સ ટીમે એરપોર્ટ પર આવતા-જતા શંકાસ્પદ મુસાફરોને રોકી તેમની બેગેજ તપાસમાં અનેક કીમતી વસ્તુઓ જપ્ત કરી છે, રૂ. 43 લાખના 30 આઈફોન 17 પ્રો મેક્સ, રૂ. 17 લાખની એક રોલેક્સ ઘડિયાળ, રૂ. 35 લાખના યુએસ ડોલર, રૂ. 10 લાખનું મારેજુઆના ડ્રગ્સ અને સૌથી વધુ રૂ. 162 કરોડના સોનાનો સમાવેશ થાય છે. આ તમામ મળીને કુલ રૂ. 267 કરોડની વસ્તુઓ દાણચોરીના પ્રયાસ તરીકે જપ્ત કરવામાં આવી છે. કસ્ટમ્સ અધિકારીઓના જણાવ્યાનુસાર, આ કામગીરી સતત સર્વેલન્સ, ડેડિકેટેડ ઇન્ટેલિજન્સ અને ઝડપી પ્રતિભાવના કારણે શક્ય બની છે. મુસાફરો દ્વારા નવા મોડલનાં આઈફોન, પ્રીમિયમ ઘડિયાળો અને સોનાની હેરાફેરી કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો હોવાના કારણે એરપોર્ટ પર વધુ કડક ચેકિંગ શરૂ કરાયું છે. એઆઈયુએ જણાવ્યું કે દાણચોરીના આ કેસોમાં મોટા ભાગે આંતરરાષ્ટ્રીય ગેંગો તેમ જ સ્થાનિક સપ્લાય ચેન જોડાયેલી હોય છે. આ તમામ કેસોમાં વધુ તપાસ ચાલુ છે. સ્ક્રીનિંગ-ઇન્ટેલિજન્સ વધુ મજબૂત બનાવ્યું છેગત એક મહિનામાં એઆઈયુએ કડક સતર્કતા, ચોક્સાઈથી કામ કરીને રૂ. 267 કરોડની દાણચોરી રોકવામાં સફળતા મેળવી છે. મુસાફરો દ્વારા કીમતી વસ્તુઓની ગેરકાયદે હેરાફેરી વધતી હોવાને કારણે અમે સ્ક્રીનિંગ અને ઇન્ટેલિજન્સ વધુ મજબૂત બનાવ્યું છે. કોઈ પણ ગેરકાયદે પ્રવૃત્તિ માટે એરપોર્ટ પર ઝીરો ટોલરેન્સ નીતિ અમલમાં છે. - અધિકારી, એર ઇન્ટેલિજન્સ યુનિટ

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 5:40 am

ખરીફ પાકના વાવેતરમાં ઘટાડો:રાજ્યમાં હજુ બિન-પિયત વિસ્તારોના કારણે ચોમાસા કરતા શિયાળામાં 46% ઓછું વાવેતર

ગુજરાતની 98.23 લાખ હેક્ટર જમીન ખેતી લાયક છે. વાવણીની ત્રણેય સિઝનમાં ચોમાસાની સિઝનમાં સૌથી વધુ વાવેતર થતું હોય છે. ગત ચોમાસામાં 85.57 લાખ હેક્ટરમાં વાવણીના અંદાજ સામે 84.94 લાખ હેક્ટર જમીનમાં વાવણી થઇ હતી. શિયાળુ સિઝનમાં 46.06 લાખ હેક્ટર જમીનમાં વાવણી થવાનો અંદાજ કૃષિ વિભાગે મુક્યો છે. એટલે કે, ચોમાસું સિઝન કરતાં શિયાળુ સિઝનમાં 38.87 લાખ હેક્ટર સાથે 46% ઓછું વાવેતર થશે. રાજ્યના 207 જળાશયોમાં કુલ 94.11% જળસંગ્રહ પૈકી 92.74% જથ્થો વપરાશ લાયક હોવા છતાં આ સ્થિતિ સર્જાશે. બીજી કારણ પાણીની અછત છે. સુરેન્દ્રનગર, પાટણ અને કચ્છ જેવા સુકા પ્રદેશોમાં હજુ બિન પિયત જમીનનો મોટો હિસ્સો છે. આ વિસ્તારોમાં પાણીની અછતના કારણે ત્રણ પૈકી એક જ સિઝનમાં વાવેતર થાય છે. રાજ્યની 38.69 લાખ હેક્ટર જમીન વરસાદ પર નિર્ભરરાજ્યમાં કુલ 98.23 લાખ હેક્ટર જમીન ખેતી લાયક છે. અત્યાર સુધીમાં સૌથી વધુ 87.24 લાખ હેક્ટરનું વાવેતર વર્ષ 2020 ના ચોમાસામાં થયું હતું. એટલે કે, 10.99 લાખ હેક્ટર જમીન એવી છે કે, જે ક્યારેય ખેડાઇ નથી. બીજી બાજુ સૌથી વધુ 48.54 લાખ હેક્ટરનું શિયાળુ વાવેતર 2025 માં થયું હતું. એટલે કે, આજે પણ 38.69 લાખ હેક્ટર જમીન એવી જ્યાં વરસાદી પાણીથી ખેતી શક્ય છે. ટુંકમાં આજે પણ 39% જમીન પર વરસાદ આધારીત ખેતી થાય છે. અને 11.19% જમીનમાં ખેતી કરી શકાતી નથી. 5 ઝોનમાં જળસંગ્રહની સ્થિતિ

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 5:32 am

ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:ખેડૂતોની 7/12ની નકલો પરથી બોગસ પરમીટો બનાવી લાખોની કિંમતના ખેરના લાકડાનું વેચાણ

વલસાડ વર્તુળમાં આવતાં વન વિભાગમાં આંતર રાજ્ય ખેરના લાકડાની ચોરીના મસમોટા નેટવર્કનો દિવ્ય ભાસ્કરની તપાસમાં પર્દાફાશ થયો છે. વલસાડ વર્તુળમાં જ 17 વર્ષથી ચિપકેલા આરએફઓ જે.ડી.રાઠોડ અને છેલ્લા 10 વર્ષથી બેઠેલા ફોરેસ્ટરે હેતલ પટેલે લાંબા સમયનો લાભ લઇને આંતર રાજ્ય ખેર ચોરીનું નેટવર્ક ખડકી દીધું છે. દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં ઘણી સ્ફોટક વિગતો બહાર આવી હતી. જેમાં સરકારની નોકરી કરતાં આ કૌભાંડીઓ દ્વારા ખેડૂતોના 7/12ની નકલના આધારે એક જ નકલ પર વારંવાર લાકડા માટે બોગસ પરમીટ બનાવી જંગલોમાંથી ખેરના લાકડાનું આડેધડ કટીંગ કરી તેના વેચાણનું આંતર રાજ્ય રેકેટ ચલાવાતું હોવાની બાબતો પર્દાફાશ થયો છે. આશ્ચર્ય જનક વાત એ છે કે, ફોરેસ્ટર અને આરએફઓની આ કૌભાંડી જોડી છેલ્લા કેટલાય વર્ષોથી વલાસાડ વર્તુળમા જ કોના આર્શિવાદથી ફરજ બજાવે છે ? તે તપાસનો વિષય છે. જોકે હાલમાં તો આ બંને અધિકારીઓને સસ્પેન્ડ કરાયા બાદ તેમની સામે ગાંધીનગરથી તપાસ ચાલી રહી છે. બંને અધિકારીઓ પાસે કરોડોની સંપતિ અને રાજકીય પીઠબળની ચર્ચા વચ્ચે તપાસ ફાઇલમાં બંધ થશે કે પછી મોટા માથાઓ સુધી રેલો આવશે તેના પર સૌની મીટ મંડાયેલી છે. વલસાડ વર્તૃળ અંતર્ગત આવતાં નવસારીના વાંસદા અને ચીખલીના જંગલોમાંથી આંતર રાજ્ય ખેર ચોરીની તસ્કરીની ઘટનામાં જે. ડી. રાઠોડ અને હેતલ પટેલ જ ખેર તસ્કરી માટે તસ્કરોને જે પરમીટ બનાવી આપતાં હતાં તેમાં મોટા પાયે હેરાફેરી કરવામાં આવતી હતી. ગાંધીનગરની ટીમે કરેલી તપાસમાં સપાટી પર આવેલી વિગત અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, ખેડૂતોની 7-12 અને ઉતારાનો ઉપયોગ કરી પરમીટ બનાવ્યા બાદ જંગલનું લાકડું આ પરમીટને આધારે અન્ય રાજ્યોમાં મોકલી દેવામાં આવતું હતું. લાકડાચોરની કોલ ડિટેલમાં કડી મળશેચીખલી ખેર પ્રકરણમાં જેનું નામ આવ્યું છે એ લાકડાચોર અર્જુનના ફોનની કોલ ડિટેલ પણ આખા પ્રકરણ પરથી પડદો ઉઠાવી દે તેમ છે. વાંસદા ચીખલી પંથકમાં તો આ લાકડા ચોર સાથે વનવિભાગના જ જવાબદારની પણ સંડોવણીની ચર્ચા ચાલી રહી છે.આ કોલ ડિટેલમાં પણ વનવિભાગને અંધારામાં રાખી કરાતા ખેલના પાપો છાપરે ચઢીને પોકારશે. ખાતાકીય તપાસે સમગ્ર પ્રકરણની તમામ હકીકતો બહાર આવશેથોડા સમય અગાઉ વનવિભાગ દ્વારા વાંસદા વનવિભાગના એસીએફ તરીકે સાડાત્રણ વર્ષ સુધી જે. ડી. રાઠોડને ચાર્જ આપવામાં આવ્યો હતો. કહેવાય છે કે આ સમયે પણ નિયમ નેવે મૂકી દેવામાં આવ્યા હતાં. અન્ય સિનિયર અધિકારી આરએફઓ હોવા છતાં ખાતાકીય પ્રમોશન લઈને આરએફઓ બનેલા જે. ડી. રાઠોડને એસીએફનો ચાર્જ આપવમાં આવ્યો હતો. જે ચાર્જ દરમિયાન પણ આ પ્રકારની પ્રવૃત્તિ થઈ હતી. આ પ્રકરણમાં એસીબી તપાસ અનિવાર્ય બની છે. વનવિભાગની ખાતાકીય તપાસે સમગ્ર પ્રકરણની તમામ હકીકતો બહાર આવે એવી શક્યતા નહીંવત દેખાઈ રહી છે. ભાસ્કર ઇનસાઇડ નિર્દોષ વેપારીએ જેલમાંથી બહાર આવી ષડયંત્ર ઉઘાડું પાડ્યુંસુત્રોના જણાવ્યાં મુજબ ખેરના લાકડાની તસ્કરી કરતાં એક વેપારીને થોડા સમય અગાઉ બંને અધિકારીઓની ટોળકીએ ખોટા કેસમાં ફસાવી દીધો હતો. પરિણામે જેલમાંથી બહાર આવ્યા બાદ વેપારીએ પણ બદલો લેવા વન વિભાગના નાના કર્મચારીઓ સાથે મળી હેતલ પટેલ અને જે.ડી. રાઠોડનો ખેલ કરવાનું આયોજન કર્યું હતું. ઓફિસમાં સીસીટીવી કેમેરા લગાવ્યા બાદ મેળવેલા પુરાવા મહિલા અધિકારીને આપતા સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું. સરકારના માજી મંત્રીનું નામ આ પ્રકરણમાં ઉછળ્યુંજે.ડી.રાઠોડ છેલ્લાં ઘણા વર્ષોથી એક જ જગ્યા પર ફરજ બજાવતાં હોવાનું સામે આવ્યું છે.સામાન્ય રીતે એક જ જગ્યા પર ત્રણ વર્ષથી વધુ સમય ફરજ બજાવ્યા બાદ તેમની બદલી થતી હોય છે. તસ્કરોના નામો આવ્યા છતાં કાર્યવાહી નહીં. દક્ષિણ ગુજરાતમાંથી લાકડાંની તસ્કરી થતી હોવાછતાં સરકાર દ્વારા આ બાબતે દુર્લક્ષ્ય સેવવામાં આવી રહ્યું છે. જેમાં એક માજી મંત્રીની છત્રછાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બન્ને અધિકારી હાલ સસ્પેન્ડ, કુલ 19થી વધુ લોકોની સંડોવણીઆંતર રાજય ખેર ચોરી પુષ્કળ પ્રમાણમાં થઇ રહી છે.અગાઉના કેસમાં વલસાડ ઉત્તર વન વિભાગે પ્રાપ્ત ખાનગી બાતમી આધારે ગોડથલ ખાતે તપાસ દરમ્યાન અનામત ખેરની છાલ (સોડા) ગેરકાયદેસર રીતે સંગ્રહિત મળ્યું હતું. આ માલને છોલવાની અને ભરવાની કામગીરી પીડવળ વિસ્તારના વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતી હતી અને બાદમાં વાહનો દ્વારા માલ ફરહાન અલી, કેસર ગંજ, ઉત્તર પ્રદેશના ઈસમ દ્વાર ચિપલૂન (મહારાષ્ટ્ર) મોકલવામાં આવતો હતો.આ મામલે વન વિભાગે અતયાર સુધીમાં 19 થી વધુ વ્યક્તિઓની સંડોવણી બહાર આવી છે વધુ તપાસ ચાલી રહી છે વન વિભાગના કાયદા હેઠળ ગુનો દાખલ કરી ગુજરાત અને મહારાષ્ટ્ર-બન્ને રાજ્યોમાં વધુ તપાસ શરૂ કરી હતી. જો કે આગળ તપાસ થતી નથી.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 5:23 am

ફરિયાદ નોંધાઈ:બોટાદમાં પોલીસની ફરજમાં રૂકાવટ કરતા 3 મહિલા સહિત 11 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ

બોટાદમાં પીધેલી હાલતમાં મળી આવેલ આરોપીને બોટાદ પોલીસ સ્ટેશને લઈ જતા આરોપીના પત્ની તથા તેના દીકરા અને અન્ય મહિલા અને પુરુષોએ મળી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી પોલીસ વિરુદ્ધ નારા લગાવી આરોપીના પત્નીએ પોલીસ કોન્સ્ટેબલને ઢીકાપાટુ નો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઆપી પોલીસ વાનને નુકસાન કર્યાની બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ છે. પોલીસ વર્તુળના જણાવ્યા પ્રમાણે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પંકજભાઈ સામતભાઈ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ ચિરાગભાઈ પોપટભાઈ પંડ્યા 5 ડિસેમ્બરનાં સાડા સાતેક વાગ્યાનાં અરસામાં બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન બોટાદ સાળંગપુર રોડ દશામાના મંદિર પાસે આરોપી રાજેશભાઈ ઉર્ફે પપ્પુ પરશોત્તમભાઈ હેડંબા પોતાના હાથમાં લાકડી લઈ કેફી પીણું પીધેલ હાલતમાં મળી આવતા તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્ય વાહી કરવા સારૂ આરોપીને પોલીસ સ્ટેશન ખાતે લઈ જતા હતા. ત્યારે પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી આરોપી રાજેશભાઈ ઉર્ફે પપ્પુ પરશોત્તમભાઈ હેડંબાના પત્ની જ્યોતિબેન હેડંબા તથા તેના બે દીકરા મીતભાઈ અને જતીનભાઈ તથા સુરેશભાઈ કાંતીભાઈ મકવાણા,અનિલભાઈ ઉર્ફે હોલી મેઘજીભાઈ હેડંબા, મેઘાજીભાઈ ગીગાભાઈ હેડંબા, લાભુબેન મેઘજીભાઈ હેડંબા, સોનલબેન અશોકભાઈ ચાચિંયા, કમલેશભાઈ રમેશભાઈ રાઠોડ, દિનેશભાઈ નારાયણભાઈને બોલાવી ગેરકાયદેસર મંડળી રચી એકસંપ થઈ પોતાનો સમાન ઉદેશ્ય પાર પાડવા જ્યોતિબેને પી.સી.આર વાન-2 ના ઇન્ચાર્જ આર્મ પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ મનજીભાઈ ચૌહાણનો વર્દીનો પોલીસ પટ્ટો પકડી, ફરીયાદી પંકજભાઈ સામંતભાઈ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ ચિરાગભાઈને ઢીંકાપાટુનો માર મારી છરીનો ઘોદો મારી દેવાની ધમકી આપી. પોલીસના માણસો તથા પી.સી.આર વાન-2 ઉપર પથ્થરમારો કરી પી.સી.આર વાન-2 ને આશરે 6000 નુક્શાન કરી પોલીસ સ્ટેશન ખાતેથી આરોપી જ્યોતિબેન હેડંબાએ બહાર જઈ બહારથી મહિલા તથા પુરૂષને બોલાવી ઘેરાવ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 5:12 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:બંગાળમાં બાબરી જેવી મસ્જિદનો પાયો નાખ્યો; સરકારે ફ્લાઈટના ભાવ ફિક્સ કર્યા; સોનિયાએ કહ્યું- સરકાર નહેરૂને ઈતિહાસમાંથી ભૂંસવા માગે છે

નમસ્તે, મોટા સમાચારોમાં જોઈએ તો બંગાળમાં TMCના ધારાસભ્યની હાકલ પર બે લાખ મુસલમાનો ભેગા થયા હતા અને બાબરી જેવી મસ્જિદનું નિર્માણ કરવા માટે ઈંટો લઈને પહોંચ્યા હતા. ઈન્ડિગોની વણસેલી સ્થિતિ થાળે પડતી જાય છે. સરકારે પણ આ મામલે કડક વલણ અપનાવ્યું છે. સોનિયા ગાંધીએ મોદી સરકાર પર આરોપ લગાવ્યો છે કે તે નહેરુના ઈતિહાસને ભૂંસી નાખવા માગે છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. કોલકાતામાં પાંચ લાખ લોકો એક સાથે ગીતાનો પાઠ કરશે. આમાં પીએમ મોદી, રાષ્ટ્રપતિ મુર્મુ અને મુખ્યમંત્રી મમતા બેનર્જીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. 2. ઈન્ડિગોની દેશભરની ફ્લાઈટના અપડેટ પર નજર રહેશે કાલના મોટા સમાચારો 1. બંગાળમાં સસ્પેન્ડેડ TMCના ધારાસભ્યએ બાબરી મસ્જિદનો પાયો નાખ્યો:મૌલવીઓ સાથે રિબન કાપી, 2 લાખથી વધુ લોકો મસ્જિદ માટે માથે ઈંટો લઈને પહોંચ્યા તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય હુમાયુ કબીરે શનિવારે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગામાં બાબરી મસ્જિદનો પાયો નાખ્યો છે. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કબીરે સ્ટેજ પર મૌલવીઓ સાથે રિબન કાપીને ઔપચારિકતા પૂર્ણ કરી હતી. સવારથી જ 2 લાખથી વધુ લોકો ટ્રેક્ટર, ઈ-રિક્ષામાં અને માથા પર ઈંટો લઈને બાંધકામ સ્થળ પર પહોંચી રહ્યા છે. બેલડાંગા સહિત આસપાસનો વિસ્તાર આજે હાઈ એલર્ટ પર છે. કોલકાતા હાઈકોર્ટે શુક્રવારે મસ્જિદ નિર્માણ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું- કાર્યક્રમ દરમિયાન શાંતિ જાળવી રાખવાની જવાબદારી રાજ્ય સરકારની રહેશે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ઇન્ડિગોએ કહ્યું- 95% રૂટ પર ફ્લાઇટ્સ ફરી શરૂ:કાલ સુધીમાં રિફંડ મળી જશે; બેફામ ભાડા વસૂલી પર બ્રેક, સરકારે કિલોમીટર પ્રમાણે ટિકિટની પ્રાઇઝ ફિક્સ કરી ઇન્ડિગો એરલાઇન્સની ઈમરજન્સી, જે છેલ્લા ચાર દિવસથી ચાલી રહી હતી, તેમાં શનિવારે સુધારો જોવા મળ્યો. એરલાઇનના જણાવ્યા અનુસાર, તેના 95% રૂટ પર ફ્લાઇટ કામગીરી ફરી શરૂ થઈ ગઈ છે. તેના 138 સ્થળોમાંથી 135 સ્થળો માટે ફ્લાઇટ્સ રવાના થઈ છે. જે મુસાફરોની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે તેમને રવિવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં રિફંડ મળશે. આ ઉપરાંત સરકારે અન્ય એરલાઇન્સને નિર્ધારિત વિમાન ભાડા કરતાં વધુ ન વસૂલવા સૂચના આપી છે. સરકારે વિમાન ભાડું નક્કી કર્યું છે. હવે, 500 કિમી સુધીના વિમાન ભાડાનો ખર્ચ ₹7,500 થશે. 500 કિમી સુધીની મુસાફરીનો મહત્તમ ખર્ચ ₹12,000, ₹15,000 અને ₹18,000 થશે. 1,500 કિમીથી વધુની મુસાફરીનો ખર્ચ ₹15,000 થશે. જોકે, આમાં બિઝનેસ ક્લાસનો સમાવેશ થતો નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 3. સોનિયાએ કહ્યું- સરકાર નેહરુને ઇતિહાસમાંથી ભૂંસી નાખવા માંગે છે:તેમને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે;ભાજપે કહ્યું- કલમ 370 નેહરુની ભૂલ હતી કોંગ્રેસ પાર્લામેન્ટરી પાર્ટી (CPP) ના ચેરપર્સન સોનિયા ગાંધી શુક્રવારે દિલ્હી ખાતે જવાહર ભવનમાં નેહરુ સેન્ટર ઇન્ડિયાના લોન્ચ સમારોહમાં હાજર રહ્યા. આ દરમિયાન તેમણે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પર નિવેદનબાજી મામલે ભાજપ સરકારની ટીકા કરી હતી. સોનિયાએ કહ્યું- એમાં કોઈ શંકા નથી કે જવાહરલાલ નેહરુને બદનામ કરવું એ આજની સત્તાનો મુખ્ય હેતુ છે. તેઓ તેમને (નેહરુને) માત્ર ઇતિહાસમાંથી હટાવવા નથી માંગતા, પરંતુ તેમના સામાજિક, રાજકીય અને આર્થિક પાયાને પણ નબળા પાડવા માંગે છે, જેના પર દેશ ઊભો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. શશિ થરૂરે મેરિટલ રેપને ગુનો બનાવવા કહ્યું:લોકસભામાં ત્રણ પ્રાઇવેટ બિલ રજૂ કરાયા, અન્ય બે બિલ રાજ્યોના પુનર્ગઠન અને કર્મચારીઓના કામના કલાકો અને આરોગ્ય સાથે જોડાયેલ લોકસભામાં કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે ત્રણ પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કર્યા હતા. એક બિલમાં મેરિટલ રેપને ગુનો જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. જ્યારે અન્ય બે બિલ રાજ્યોના પુનર્ગઠન, કામ કરતા લોકોના કામના કલાકો અને માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલા છે. થરૂરે મેરિટલ રેપ અંગે કહ્યું કે “લગ્ન કોઈપણ રીતે હિંસાનું લાઇસન્સ નથી. પત્નીની સંમતિ દરેક સ્થિતિમાં જરૂરી છે.” વાંચો સંપૂર્ણ સમાચાર 5. મોદી બોલ્યા– ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા:'ધીમી અર્થવ્યવસ્થાને હિંદુ રેટ ઓફ ગ્રોથ કહેનારા હવે ચૂપ છે' વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું કે જ્યારે ભારતનો વૃદ્ધિ દર 2-3% હતો, ત્યારે કેટલાક બુદ્ધિજીવીઓએ તેને હિંદુ રેટ ઓફ ગ્રોથ કહ્યો હતો અને દેશની ધીમી અર્થવ્યવસ્થાનું કારણ હિંદુ સંસ્કૃતિને ગણાવ્યું હતું. મોદીએ કહ્યું, આજે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે, પરંતુ તે જ લોકો હવે આ શબ્દનો ઉલ્લેખ કરતા નથી. PM મોદી દિલ્હીમાં હિન્દુસ્તાન ટાઈમ્સના લીડરશીપ સમિટમાં બોલી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે જે લોકો દરેક વાતમાં સાંપ્રદાયિકતા જુએ છે, તેમને ત્યારે હિંદુ રેટ ઓફ ગ્રોથ શબ્દ યોગ્ય લાગ્યો અને તેઓ તેને પોતાના પુસ્તકો અને રિસર્ચ પેપર્સમાં લખતા રહ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 6. પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરીંગ કેસમાં 5 વર્ષની સજા:અગાઉના કેસની સજાથી અલગ ભોગવવાની રહેશે, હવાલાથી મોટી રકમ અમેરિકા ટ્રાન્સફર કરવાનો આરોપ રાજ્યના પૂર્વ IAS પ્રદીપ શર્મા સામે મની લોન્ડરીંગ એક્ટ હેઠળ નોંધાયેલી ફરિયાદમાં PMLA કોર્ટ દ્વારા 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે. પ્રદીપ શર્મા હાલ જે કેસમાં સજા કાપી રહ્યા છે તેનાથી અલગ સજા ભોગવવાની રહેશે. આ ઉપરાંત કોર્ટે ચુકાદામાં જણાવ્યું છે કે, સરકાર દ્વાર અધિકારીની જે સંપત્તિ ટાંચમાં લીધી છે તે સરકાર હસ્તક જ રહેશે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. 'પશુપાલકોની આવક 5 વર્ષમાં 20%થી વધુ વધશે':અમિત શાહના હસ્તે બનાસ ડેરી હસ્તકના વિવિધ પ્રકલ્પોનું ખાતમુર્હુત-લોકાર્પણ કરાયું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે, 6 ડિસેમ્બર, 2025ના રોજ, બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી હતી અને વાવ-થરાદના સણાદર ખાતે વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, સહકારી મોડેલ થકી આવનાર 5 વર્ષમાં પશુપાલકોની આવક 20 ટકાથી વધુ વધશે. તેમણે આગથળા (લાખણી) ખાતે બનાસ ડેરી અને સુઝુકી ઈન્ડિયા દ્વારા સ્થાપિત બાયો-સીએનજી અને ફર્ટિલાઇઝર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું, જે પશુઓના ગોબરની ખરીદી કરીને CNGનું ઉત્પાદન કરી એક ઉત્તમ ચક્રીય અર્થવ્યવસ્થા ઊભી કરે છે. આ ઉપરાંત, તેમણે સણાદરમાં રૂ. 440 કરોડના ખર્ચે બનનાર 150 TPD ક્ષમતાવાળા મિલ્ક પાવડર અને બેબી ફૂડ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : જુબીન ગર્ગના મૃત્યુ કેસમાં 12 ડિસેમ્બરે ચાર્જશીટ:અત્યાર સુધીમાં સાતની ધરપકડ, સિંગાપોરમાં 19 સપ્ટેમ્બરે સિંગરનું મોત થયું હતું વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર પર ફરી ફાયરિંગ:પીસ ટોકના 48 કલાક બાદ હુમલો; એકબીજા પર પહેલા હુમલો કરવાનો આરોપ લગાવ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : રાજસ્થાન-MPના 37 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે:8 ડિસેમ્બરથી ઠંડી વધુ તીવ્ર બનશે; ઉત્તરાખંડ અને હિમાચલમાં હિમવર્ષાનું એલર્ટ, કેદારનાથમાં પારો-14 ડિગ્રી વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : રાષ્ટ્રપતિ ભવનમાં પુતિને ખાધી કાશ્મીરી અખરોટની ચટણી:મેનૂમાં ઝોલ મોમો અને દાળ તડકા પણ સામેલ; PM મોદીએ ચાંદીનો ઘોડો ભેટ આપ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : નેટફ્લિક્સે વોર્નર બ્રધર્સ સ્ટુડિયોને ખરીદવાની જાહેરાત કરી:₹6.47 લાખ કરોડમાં ડીલ થઈ, નેટફ્લિક્સ રોકડ અને સ્ટોકથી ચૂકવણી કરશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.ધર્મ તહેવાર જ્યોતિષ : તુલસીનાં પાન કયા દિવસોમાં ન તોડવાં?:જાણો શાસ્ત્રમાં આ વિશે શું લખેલું છે? આ છોડમાં હોય છે માતા લક્ષ્મીનો વાસ વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન ખબર હટકે યુદ્ધ દરમિયાન 54 યુગલો પરણ્યા ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે 54 યુગલો માટે સમૂહ લગ્ન યોજાયા. યુદ્ધના કાટમાળ વચ્ચે દુલ્હનો સફેદ ગાઉનમાં નાચી. બહાર વોર ડ્રોન ઉડ્યા, અને અંદર ઉજવણી ચાલુ રહી. આ કાર્યક્રમમાં 21,000 લોકો હાજર રહ્યા. એક દુલ્હને કહ્યું, આ લગ્ન યુદ્ધના અંધકારમાં આપણા માટે આશાનું કિરણ છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. IPS ડાયરીઝ-6 મામા-ફોઇના પોરિયાએ મળી ₹88 લાખ ગપચાવ્યા:‘ધૂમ’ જેવા કીમિયાથી ચહેરો બદલાવ્યો; IPS રૂપલ સોલંકીના કરિયરના હચમચાવી દેતા કિસ્સા 2. એક્સક્લૂસિવ ટ્રેનના 100 ડબ્બાના વજન જેટલો કચરો અમદાવાદીઓ રોજ ફેંકે છે:10 વર્ષમાં સ્વીડન, જાપાનની માફક અમદાવાદમાં કચરાનો નિકાલ થશે 3. અમેરિકામાં ભારતીયોને લૂંટવાનો નવો ટ્રેન્ડ:ડિપોર્ટેશન અને એમ્બેસીના નામે જાળમાં ફસાવે છે, ગઠિયાઓની ગજબ મોડસઓપરેન્ડી, જાણો બચવાના ત્રણ ઉપાય 4. અભિજિત હત્યારો નથી, તો મોડલ દિવ્યા પાહુજાને કોણે મારી?:9 સાક્ષી ફરી ગયા, ગેંગસ્ટરના પરિવાર પર શંકા; હોટલે કહ્યું, CCTV ફૂટેજ અમારા નથી 5. 24 વર્ષ શિક્ષક રહ્યાં, BLO બનાવીને માતાની હત્યા કરી:કામચોર કહ્યા તો ફાંસી લગાવી, પશ્ચિમ બંગાળમાં SIRમાં 39 મોત પાછળનું કારણ શું છે? 6. ભાસ્કર એક્સપ્લેનર ફ્લાઇંગ ક્રેમલિન પર રશિયા પરત ફરેલા પુતિનની લક્ઝરીના કિસ્સા:બ્લેક સીના કિનારે અને જંગલોની વચ્ચે સિક્રેટ પેલેસ; ઘોડેસવારી જેવા બીજા કયા શોખ? 7. આજનું એક્સપ્લેનર:સફેદ ફોર્ચ્યુનરમાં જ કેમ બેઠા પુતિન?, મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ, મોદી સાથે 3 વાર મુલાકાત; શું સંદેશ આપી ગયા રશિયન રાષ્ટ્રપતિ? કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ:વૃષભ જાતકોને આજે ગ્રહસ્થિતિ અનુકૂળ રહેશે; મિથુન જાતકો પોતાના કાર્યોને વ્યવસ્થિત રીતે પાર પાડી શકશે વાંચો સંપૂર્ણ રાશિફળ

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 5:00 am

માર માર્યો:ઉમલાવમાં સાઇકલ લઈને જતી છોકરી પડી જતા યુવકને માર માર્યો

આંકલાવના તાલુકાના ઉમલાવ ગામે લક્ષ્મીપુરામાં રહેતા મનુભાઈ રંગીતભાઈ પરમાર મિત્ર જગદીશભાઈ મંગળભાઈ પઢીયાર નાસ્તાની લારીએ જતાં હતા. અને રસ્તામાં એક છોકરી સાયકલ લઈને આવતી હતી. જે સાયકલ સાથે પડી ગઈ હતી અને પોતાના ઘરે જવા નીકળી ગઈ હતી. મનુભાઈ પોતાના મિત્ર જગદીશભાઈ ચાલતા ચાલતા જયંતીભાઈ ખોડાભાઈ પટેલની કરિયાણાની દુકાન ખાતે આવીને ઉભા હતા. આ વખતે સાયકલ લઈને પડી ગયેલ છોકરી પોતાના કાકા કિશનભાઇ લાલજીભાઈ ઠાકોર સાથે આવીને છોકરીએ આવીને મનુભાઈએ સાયકલ ઉપરથી પાડી દીધી તેમ કહેતા મનુભાઈએ જણાવેલ કે મેં સાયકલ ઉપરથી તમારી ભત્રીજીને પાડી નથી તેમ કહેતા કિશનભાઇ એકદમ ઉશ્કેરાઈ જઈ મનુભાઈને માર મારી જમીન ઉપર પાડી દઈ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મનુભાઈની ફરિયાદ લઈ ભાદરણ પોલીસે કિશનભાઇ ઠાકોર વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 4:54 am

આંકલાવ પોલીસમાં બંને પક્ષની સામ સામે ફરિયાદ:ખડોલ ગામે ગીરવે મૂકેલી જમીનના પૈસા બાબતે બે પરિવારો બાખડ્યા

આંકલાવના ખડોલમાં ગીરવે મૂકેલી જમીનના પૈસા બાબતે 2 પરિવાર વચ્ચે મારા મારી થઇ હતી. આંકલાવ તાલુકાના ખડોલ ગામે અંબીકા ચોક વિસ્તારમાં 19 વર્ષીય ખુશીબેન રાહુલકુમાર પુરોહિત સસરા કનુભાઈને પાડોશમાં રહેતા તારકભાઈ ચંદ્રકાંતભાઈ પુરોહિત, હેમંતભાઈ ચંદ્રકાંતભાઈ પુરોહિત, જયભાઈ હેમંતભાઈ પુરોહિત અને સન્નીભાઈ હેમંતભાઈ પુરોહિતે જમીન ઉપર આપેલા રૂ 1 લાખ આપી દો તેમ જણાવતા કનુભાઈએ મેં તમારી પાસેથી આટલા બધા પૈસા લીધેલ નથી તેમ કહેતા એકદમ ચારેય જણાએ ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલીને કનુભાઈને પકડી ઝપાઝપી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ખુશી પુરોહિતની ફરિયાદ લઈ તારક સહિત ચાર વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સામા પક્ષે નીલમબેન જયકુમાર પુરોહિતે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓની પડોશમાં રહેતા કનુભાઈ ભાનુપ્રસાદ પુરોહિત, શિલ્પાબેન કનુભાઈ પુરોહિત, ખુશીબેન રાહુલભાઈ પુરોહિત અને રાહુલભાઈ કનુભાઈ પુરોહિતે ભેગા મળી નીલમબેનના કાક સસરા તારકભાઈ જમીનની વાત કરવા ગયા હતા. ત્યારે તારકભાઈને ગાળો બોલી ફેટ પકડી ઝપાઝપી કરતાં સન્નીભાઈ તેમજ નીલમબેનના પતિ જયકુમાર છોડાવા વચ્ચે પડતા નીલમબેનાન ઘર આગળ જઈ નીલમબેનનો હાથ પકડી નીચે પાડી દઈ લાતો મારી તેમજ જયકુમાર અને તેમના પરિવારજનોને ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા આંકલાવ પોલીસે બંને પક્ષોની ફરિયાદો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 4:54 am

પદવીદાનમાં મુખ્ય અતિથિ બનશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત:એસપી યુનિ.નો 15મીએ પદવીદાન સમારોહ 16,963 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે

સરદાર પટેલ યુનિવર્સિટીનો 68મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં 15મી ડિસેમ્બરે 2025ના રોજ યોજાશે. પદવીદાન સમારોહમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર ડો. મિનેશ શાહ ઉપસ્થિત રહી દિક્ષાંત પ્રવચન આપશે. પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીના 11 વિવિધ વિદ્યાશાખાના કુલ 16,963 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને 103 ગોલ્ડ મેડલ એનાયત કરાશે. આ પદવીદાન સાથે જ અત્યાર સુધીમાં એસપી યુનિવર્સિટીના 4,07,729 વિદ્યાર્થીઓને પદવી એનાયત થશે. આ વર્ષે સ્વદેશી પોષાક ખાદીને પ્રોત્સાહન મળે માટે પદર્વીદાન સમારંભ દરમ્યાન મંચસ્ત મહાનુભાવો, યુનિવર્સિટીના શૈક્ષણિક કર્મચારીઓ, વહિવટી કર્મચારીઓ તથા ગોલ્ડ મેડાલીસ્ટ વિદ્યાર્થીઓ ખાદીના એક સરખા ડ્રેસકોડમાં હાજર રહેશે. સમારંભનું સ્થળ માનવ વિદ્યાભવનના પટાંગણમાં સરદાર પટેલ યુનિવર્સિટી મુખ્ય કાર્યાલય સામે રહેશે. વિતરણ કેન્દ્ર ખાતે સવારે 8થી 1 સુધી ડિગ્રી અપાશે રૂબરૂમાં પદવી મેળવનાર વિદ્યાર્થીને જો તેનો કોન્વોકેશન સિરીયલ નંબર અંગેનો એસએમએસ ન મળે તો વિદ્યાર્થીએ યુનિ. વેબસાઇટ પર કોન્વોકેશન લીસ્ટની ફાઇલ ઓપન કરી પોતાનું નામ ટાઇપ કરી મેળવી લેવી તથા 15 ડીસેમ્બરના રોજ ઓળખપત્ર અને ફી ભર્યાની પાવતી સાથે યુનિ.ની ઉપરોક્ત લિંકમાં પદવીની સામે દર્શાવેલ પદવી વિતરણ કેન્દ્ર ખાતેથી સવારના 8.00 થી બપોરના 1.00 કલાકે ઉપસ્થિત રહી ડીગ્રી મેળવી લેવી.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 4:51 am

મનપાની કાર્યવાહી:બાકરોલ સ્ક્વેરની 7 દુકાનોનો 60 હજાર બાકી વેરો ન ભરાતાં મનપાએ સીલ કરી

કરમસદ આણંદ મનપાના ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા વિવિધ વિસ્તારો ખાતે બાકી વેરો જમા કરાવવા અંગે નોટિસ આપવામાં આવી છે અને રિકવરી સંબંધે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મનપાવિસ્તારમાં આવેલ બાકરોલ સ્ક્વેર માં રૂ. 60 હજાર નો બાકી વેરો ભરપાઈ ન કરવાના કારણે 07 જેટલી દુકાન તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવી છે.મનપા ના વિવિધ વિસ્તારો માંથી અન્ય મિલકતો ધારક પાસેથી બાકી પડતો રૂ.2.75 લાખ જેટલો વેરો વસૂલ કરવામાં આવ્યો છે. આણંદ મનપા ટેકસ વિભાગના જણાવ્યાં અનુસાર 50 હજારથી વધુ મિલકત વેરો બાકી છે તે તમામને નોટીસ પાઠવવામાં આવી છે. તેમ છતાં તેઓ વેરો નહીં ભરે તો આગામી દિવસોમાં મિલકતો સીલ કરવામાં આવશે.મનપા દ્વારા નગરજનોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે કે પોતાની મિલકતનો બાકી વેરો તાત્કાલિક જમા કરાવવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. પોતાની મિલકતનો બાકી રહેલ વેરો નિયમિત ન ભરતા લોકો સામે કાયદાની જોગવાઈને આધીન દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમ મનપાની રિકવરી ટીમ દ્વારા જણાવવામાં આવ્યું છે. વર્ષોથી વેરો ન ભરતા બાકીદારોની યાદી તૈયાર કરાઇ કરમસદ આણંદ મનપા વિસ્તારમાં સમાવેશ કરાયેલ વિદ્યાનગર, કરમસદ સહિત ચાર ગામોમાં મિલકતધારકો જેઓ વર્ષોથી વેરો ભરતા નથી તેવા બાકીદારોની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં સરકારી કચેરીઓ સહિત કેટલાંક મોટા માથાનો સમાવેશ થાય છે. તેઓ વેરો નહીં ભરે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ મનપા ટેકસ વિભાગના સૂત્રોએ જણાવ્યું છે

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 4:50 am

સવારે 7થી બપોરના 1 વાગ્યા સુધી લાઇટો બંધ રહેશે:આજે વિદ્યાનગરમાં 6 કલાક વીજકાપ, 10 હજાર રહીશોને હાલાકી વેઠવી પડશે

આણંદ જિલ્લા વીજ તંત્ર દર રવિવારે વીજકાપ મુકવાની પ્રથા યથાવત જોવા મળી રહી છે.ત્યારે વિદ્યાનગર સબ ડિવીઝન હસ્તક આવેલા નારાયણ શાલીગ્રામ, ગોકુલધામ સહિત અન્ય બે જેટલા ફિડરો રવિવારે 7 કલાક સુધી વીજ કાપ મુકવાનો નિર્ણય કર્યો છે.જેના પગલે બાકરોલ વડતાલ રોડ, કરમસદ રોડ અને ધોળાકુવા ,ગોકુલધામ સહિત 300થી વધુ સોસાયટી વિસ્તારના રહીશોને હાલાકીઓનો ભોગ બનવું પડશે. પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ જિલ્લનાા વીજતંત્ર દ્વારા સમાર કામના બહાને રવિવારે વિજ કાપ મુકવામાં આવશે.ત્યારે વિદ્યાનગર સબ ડિવીઝનમાં આવેલા જોગણી માતા મંદિર, લક્ષ સોસાયટી ભાઇકાકા કોલોની, લાંભવેલ માર્ગ ,એસ પી યુનિવર્સિટી વિસ્તાર, રાજનગર ,બાકરોલ રોડ થી સંકેત સુધીના ભારે તેમજ હળવા દબાણો ગ્રાહકને ફિડર પરથી સવારે 7 કલાક થી બપોરના 1 કલાક સુધી લાઇટો બંધ રહેશે. આ સમય દરમિયાન લાઇન ફોલ્ટ, કેબલ બદલવા સહિતની કામગીરી હાથધરવામાં આવશે.પરંતુ બપોરે એક કલાકે કામગીરી પૂર્ણ થયા બાદ સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવશે.જો કે દર રવિવારે વિજ કાપ મુકાતા શહેરીજનો વિજ તંત્રથી તોબા પોકારી ઉઠ્યા છે.રવિવારને બદલે અન્ય દીવસોમાં વિજકાપ મુકવામા તેવી માંગ ઉચ્ચારી છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 4:49 am

જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું:એસપીયુમાં સાઇબર સુરક્ષા અને નવા મુખ્ય ફોજદારી કાયદા પર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક કાયદાશાસ્ત્ર વિભાગ દ્વારા માનવ વિદ્યાભવનમાં સાઇબર સુરક્ષા અને નવા ગુનાહિત કાયદાઓનું મૂળભૂત માળખા પર કાનૂની જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાંં સમાજનને કાનૂની રીતે શક્તિશાળી બનાવતા નવા કાયદા અને તેમની ઉપયોગીતાને સમજાવવામાં આવ્યાં હતાં. કાર્યક્રમમાં નિ:શુલ્ક કાનૂની સાક્ષરતાનો લાભ 80 જેટલા અધ્યાપકો તથા યુનિવર્સિટિના કર્મચારીઓ તથા 25 જેટલા યુનિવર્સિટીના વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. યુનિવર્સિટીમાં ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના સંલગ્ન અનુસ્નાતક કાયદાશાસ્ત્ર વિભાગમાં નિ:શુલ્ક કાનૂની સેવા કેન્દ્રનો લાભ દરેક વિદ્યાર્થીઓ, યુનિવર્સિટીના કર્મચારીઓ અને અધ્યાપકો કાયદાકીય પ્રશ્નોના નિવારણ માટે લઈ શકે તે બાબતનું માર્ગદર્શન કુલપતિ પ્રો. ડો. નીરંજન પટેલે આપ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા કાનૂની ન્યાય સેવા સત્તા મંડળના ચેરમેન જીડી પડિયાએ નવા ભારતીય કાયદાઓ વિશે જણાવ્યું હતું. જેમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય સાક્ષ્ય અધિનિયમ હેઠળ ઉમેરવામાં આવેલા નવા કાયદાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 4:46 am

વેધર રિપોર્ટ:પવનનું જોર વધુ રહેતા ઠંડીનો પારો 14.3 ડિગ્રી

હવામાન વિભાગના જણાવ્યાં અનુાસર આગામી 8 ડિસેમ્બર સુધી ઉત્તર ગુજરાતમાં પૂર્વ દિશાનો પવન ફૂંકાવાની શક્યતા છે. જેને લઇ ઠંડીની આ સ્થિતિમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જો કે પવનની ગતિ વધુ રહેતા લઘુત્તમ તાપમાન 12 દિવસ બાદ 15 ડિગ્રી નીચે એટલે કે 14.3 ડિગ્રી નોંધાયું છે. હાલમાં ભેજવાળુ વાતાવરણ હોવાથી હજુ તાપમાનમાં બે દિવસ વધ-ઘટ રહેશે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 4:44 am

દારૂ મળ્યો:બોરસદના દાવોલ પાસે અકસ્માતગ્રસ્ત કારમાંથી 1.78 લાખનો દારૂ મળ્યો

શુક્રવાર સાંજે એલસીબી પોલીસને મળેલી બાતમી આધારે સંદેશરથી પેટલાદ તરફ જવાના રોડ ઉપર વોચ ગોઠવી હતી. દરમ્યાન સફેદ કલરની કાર જેની આગળ નંબર પ્લેટ નહોતી પરંતુ પાછળના ભાગે જીજે-23, બીસી-7596ની લગાવી હતી. તે પુરપાટ ઝડપે આવતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચાલકે ભગાડી મુકતાં પોલીસની ટીમે ખાનગી કારમાં પીછો કર્યો હતો. જેમાં સંતોકપુરાના બસસ્ટેશન પાસે ચાલતા પસાર થતા રમેશ ઈશ્વરભાઈ ઠાકોર (રે.બોચાસણ)ને કારે ટક્કર મારતાં ઈજા પહોંચી હતી. દરમ્યાન કારનો ચાલક ભાગવા જતા બોદાલ ગામની સુર્યપુરા સીમ વિસ્તારમાં આવેલા તળાવના ડીવાઈડર સાથે અથડાતા ત્યાં જ મુકીને ફરાર થઈ ગયો હતો. જેમા 1.78 લાખના વિદેશી દારૂના 639 ક્વાર્ટરીયા, 109 બીયરના ટીન મળી આવ્યા હતા. કારમાંથી બે‎અલગ-અલગ નંબર ધરાવતી‎ચાર નંબર પ્લેટો પણ મળી આવી‎હતી. કારની તપાસ કરતા તેનો‎ઓરીજનલ નંબર એમપી-09,‎ડીએફ-5025નો જાણવા મળ્યું‎હતુ.પોલીસે ગુનો નોંધી વધુ‎તપાસ હાથ ધરી છે.‎

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 4:43 am

દબાણને લીઘે વાહનચાલકો હેરાન:થર્મલમાં દુકાનદારો દ્વારા માર્ગ ઉપર દબાણો ઉભા કરતા સ્થાનિકોને હાલાકી

વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ના મુખ્ય પ્રવેશ દ્વારથી ગાયત્રી નગર સામે આવેલ દુકાનો દ્વારા માર્ગ ઉપર જ દબાણ કરી દેવામાં આવ્યા છે. જેમાં ચા નાસ્તાની દુકાનો અને લારીઓ વાળા માર્ગ પર દબાણ કરી દેતા અવર જવરમાં પણ સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જેના કારણે મુખ્ય માર્ગ પર થી દબાણો હટાવવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. ખેડા જિલ્લામાં આવેલા વણાક બોરી થર્મલ પાવર સ્ટેશનના મુખ્ય માર્ગથી ગાયત્રીનગર જવાના માર્ગ ઉપર મોટી સંખ્યામાં દુકાનો આવેલી છે. આ સાથે મુખ્ય માર્ગ ઉપર જ ખોટી રીતે દબાણો ઊભા કરી દેવામાં આવ્યા છે. ત્યારે માર્ગ ઉપરથી દિવસ દરમિયાન મોટા પ્રમાણમાં ટ્રકો પસાર થતી હોય છે. જોકે મુખ્ય માર્ગ ઉપર દબાણ કરી દેવાના કારણે સ્થાનિકો અને વિદ્યાર્થીઓને માર્ગ પરથી ચાલીને જવા માટે મજબૂર બન્યા છે. ત્યારે મોટી સંખ્યામાં ટ્રકોની અવર જવાને કારણે સ્થાનિકોમાં અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે. આ સાથે મુખ્ય માર્ગ પર દબાણો કરી દેવામાં આવતા અનેક વખત ટ્રાફિક જામની સમસ્યા પણ ઊભી થાય છે. જેમાં વાહનચાલકોને પોતાનો સમય બગાડવો પડતો હોય છે. ત્યારે મુખ્ય માર્ગ ઉપર કરી દેવામાં આવેલા દબાણ દૂર કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 4:41 am

સન્ડે ફોટો સ્ટોરી:નડિયાદમાં 400થી વધુ વર્ષ જૂની વણઝારી વાવ જાળવણીના અભાવે નામશેષ થવાને આરે, હવે મનપા સરવે કરી રિસ્ટોરેશન કરાશે

નડિયાદમાં 3 જેટલી વર્ષો પુરાણી વાવ છે. જેમાં વણઝારી વાવ 400 વર્ષથી વધુ જૂની છે. આ ઐતિહાસિક વાવ છેલ્લા અનેક વર્ષોથી તંત્રની જાળવણીના અભાવે ખસ્તા હાલતમાં ફેરવાઇ ગઇ છે. હાલમાં વાવની દિવાલની ઇંટો તૂટી પડી છે, જંગલી વનસ્પતિ ઉગી નીકળી છે. વર્ષોથી વાવની જાળવણી કે સફાઇ કરવામાં આવી ન હોવાથી નામશેષ થવાના આરે ઉભેલી આ ઐતિહાસિક ધરોહરના રિસ્ટોરેશનને લઇને હવે મહાનગરપાલિકા દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. હાલમાં શહેરમાં આવેલી તમામ ઐતિહાસિક ધરોહરોનો સર્વે કરી બાદમાં તેની જાળવણી માટે જરૂરી મરામત સાથેનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 4:35 am

બાઈક રેલીનું આયોજન કરાયું:મોરબીમાં ડો. આંબેડકરના પરિનિર્વાણ દિને બાઈક રેલી નીકળી

ડો. ભીમરાવ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે મોરબી શહેરમાં સ્વયમ્ સૈનિક દળ દ્વારા બાઈક રેલી આયોજન કરાયુ હતું. આ રેલી મોરબીના ઉમિયાનગરમાંથી શરૂ થઈ મુખ્ય માર્ગો કલેકટર કચેરી, વાઘપરા, સનાળા રોડ થઈ મહાનગરપાલિકા પાસે પહોંચી હતી. જયારે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને એસએસડીના સૈનિકો દ્વારા સલામી આપવામાં આવી, બાદમાં નેહરુગેટ ચોકથી વીસી ફાટકથી રોહીદાસપરા ખાતે રેલી સભામાં પરિવર્તિત થઈ હતી. સભામાં સૈનિક દળના સૈનિકોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ભારત રાષ્ટ્ર માટે ત્યાગ અને બલિદાન વિશેની વાત કરી અને મહામાનવ ના સંઘર્ષને લોકો સુધી પહોંચાડવા અને ભારતને સમતાવાદી રાષ્ટ્ર બનાવવાની વાત કરી, અને સમાજમાંથી જાતિવાદ, પ્રાંતવાદ, ભાષાવાદ, વ્યસન દૂર કરવાની વાત કરી. તસવીર : કિશન પરમાર

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 4:00 am

બેદરકારી:ગોત્રી હોસ્પિટલમાં દર્દીને એક્સપાયર થયેલી દવાનો બોટલ ચઢાવી દેવાયો

ગોત્રી ખાતે આવેલી જીએમઇઆરએસ હોસ્પિટલમાં વલસાડના 28 વર્ષના યુવાન મુદ્દસર શેખને આંતરડાની બીમારીમાં સારવાર દરમિયાન એક્સપાયરી ડેટનો બોટલ ચઢાવવામાં આવતા હોબાળો મચ્યો હતો. દર્દીના સ્વજનોએ હોસ્પિટલ પર ગંભીર બેદરકારીના અને અન્ય આક્ષેપો કર્યા હતા. 2025ના નવેમ્બર મહિનામાં એક્સપાયર થયેલો પેરાસીટેમોલનો બોટલ ચઢાવવામાં આવ્યો હતો. દર્દીને 5 દિવસથી સારવાર આપવામાં આવી રહી છે. જેમાં શનિવારે બે બોટલ ચઢાવવામાં આવ્યા હતા. જે પૈકી એક બોટલ એક્સપાયરી ડેટનો હોવાનું જણાઇ આવ્યું હતું. સમગ્ર ઘટના અંગે હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ દ્વારા જણાંવ્યું હતું કે, નર્સ દ્વારા એક્સપાયરી ડેટ વાંચવામાં ભૂલ થઈ હોવાનું પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે. 2025ને બદલે 2026 વંચાયું છે, જેને પગલે આ થયું છે. પરંતુ તેનાથી દર્દીને કોઈ નુકસાન થાય તેમ નથી. સમગ્ર વિષયમાં તપાસ કમિટીની નિમણૂંક કરવામાં આવી છે. એક્સપાયરી ડેટના જથ્થાની ખબર નથીઃ સુપરિન્ટેન્ડેન્ટગોત્રી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ અનુપ ચંદાણીએ જણાવ્યું હતું કે, અમે તમામ વોર્ડને સૂચના આપી એક્સપાયરી ડેટનો જથ્થો હોય તો પરત આપવો અને તે ચેક કરવા માટે જણાવ્યું છે. પરંતુ હાલના તબક્કે કેટલી માત્રામાં જથ્થો છે તે ખબર નથી. અમે તે આંકડા અને વિગતો કઢાવી રહ્યા છીએ. અગાઉ પણ ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલમાં એક્સપાયરી ડેટનો જથ્થો હોવાની બૂમો ઊઠી હતીગોત્રી હોસ્પિટલમાં અગાઉ પણ એક્સપાયરી ડેટના જથ્થા અંગે બૂમો ઉઠી હતી. એક્સપાયરી ડેટના જથ્થાનો યોગ્ય નિકાલ ન થતો હોવાનું તેમજ આ દવાઓ વેચાઈ જતી હોવાનો આક્ષેપ પણ દર્દીના સગાં દ્વારા કરવામાં આવ્યો હતો. અગાઉ પણ એક્સપાયરી ડેટના દવાના જથ્થા અંગે તત્કાલીન મહિલા સુપ્રિટેન્ડન્ટ દ્વારા જવાબો આપી ખુલાસા કરવામાં આવ્યા હતા. એસએસજીમાં એક્સપાયરી દવાનો નિકાલ દર 3 મહિને કરવામાં આવે છેસયાજી હોસ્પિટલમાં એક્સપાયરી ડેટની દવામાં ચૂક ન રહી જાય તે માટે 3 લેયરની ચકાસણી થાય છે. આરએમઓ અને મેડીકલ સ્ટોરના સભ્ય સાથેની એક કમિટી બનાવેલી છે જે દરેક મંગળ અને શુક્રવારે રાઉન્ડ લે છે. ઇન્ચાર્જ લેવલથી જાણ કરવામાં આવે છે કે, ત્રણ મહિના અગાઉ એક્સપાયરી ડેટ નજીક આવતી હોય તે જથ્થો અન્ય વોર્ડમાં મોકલીને તેનો ઉપયોગ કરી નાખવામાં આવે. ફાર્માસિસ્ટ દ્વારા સ્ટોરમાં પણ આ અંગે તકેદારી રાખવામાં આવે છે. છ મહિના અગાઉ ગુજરાતની અન્ય સંસ્થાઓને પત્ર લખી જરૂર હોય તો આ દવાઓ માટે જાણ કરાય છે. દર 3 મહિને નજીકની એક્સપાયરી ડેટની દવાઓ એક રૂમમાં સાચવવામાં આવે છે અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારી આવે ત્યારે તેનો નિકાલ થાય છે. એસએસજીના મેડિકલ સ્ટોર ઇન્ચાર્જ જાગૃતિ ચૌધરીએ જણાવ્યું હતું. સયાજી હોસ્પિટલમાં કમિટી સત્તાધીશોની હાજરીમાં દવાનો નિકાલ કરી દે છેહોસ્પિટલમાં એક્સપાયરી ડેટના જથ્થાને એકત્ર કરી ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીની હાજરીમાં તેનો નિકાલ કરવામાં આવે છે અને સેન્ટ્રલ સ્ટોરને મોકલી આપવામાં આવે છે. આ સિવાય પણ નજીકમાં એક્સપાયરી આવતી હોય તે દવાઓને અન્ય સંસ્થાઓમાં આપવા માટે પણ ફાર્માસિસ્ટનું ગ્રુપ છે, તેમાં જાણ કરવામાં આવે છે. આ ઘટના કેવી રીતે થઈ તે તપાસ પછી જ ખબર પડશે. > ડો. અનુપ ચાંદાણી, સુપરિન્ટેન્ડેન્ટ, ગોત્રી હોસ્પિટલ

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 4:00 am

આફતમાં અવસર:ઇન્ડિગો ક્રાઇસીસ,એઆઇનું મુંબઇનું ભાડું અમેરિકાની ટિકિટ જેટલું,90 હજારે પહોંચ્યું

ઇન્ડિગો એર લાઇન્સે શનિવારે વડોદરાની 6 ફ્લાઈટ રદ કરતાં સેંકડો મુસાફરો અટવાયા હતા. બીજી તરફ શિડ્યૂલ ખોરવાતાં રિટર્ન ફ્લાઇટનું બુકિંગ રદ કરાવવા વડોદરા એરપોર્ટ પર મુસાફરોની કતારો લાગી હતી. ઇન્ડિગો દ્વારા શનિવારથી ફ્લાઇટ રાબેતા મુજબ રહેશે તેવી જાહેરાત કરાયા બાદ પણ 6 ફ્લાઇટ રદ કરાઈ હતી. બીજી તરફ એર ઇન્ડિયા દ્વારા આ આફતના સમયમાં કમાવાનો અવસર હોય તેવી રીતે સોમવારની મુંબઈની ફ્લાઈટનું ભાડું 90 હજાર સુધી ઓનલાઈન દર્શાવાયું હતું. જ્યારે વડોદરાથી મુંબઈનું ટેક્સીનું ભાડું 15 હજાર થાય છે.સાંસદ ડો.હેમાંગ જોશીએ કહ્યું કે, સરકારે શનિવારે માર્ગદર્શિકા બહાર પાડી એર લાઇન્સને યોગ્ય પ્રમાણમાં ભાડું લેવા જણાવ્યું છે. ગાંધી ટ્રાવેલ્સના સિદ્દીક ગાંધીએ કહ્યું કે, ટ્રાવેલ્સ સંચાલકોએ ભાવ વધાર્યો નથી. એર લાઇન્સ 90 હજાર જેટલું ભાડું વસૂલે છે. 60 હજારની ટિકિટ સામે 25 હજાર ચાર્જ લાગેહૈદરાબાદની 4 ટિકિટ હતી. રિટર્નની ટિકિટ રદ કરાવીએ તો 4 ટિકિટ પર 60 હજારની સામે 25 હજાર ચાર્જ કપાય છે. તેથી એરપોર્ટ પર ટિકિટ રદ કરાવી રિફંડ મેળવ્યું. > મિત્તલ કારલા, મુસાફર યુગલોનાં હનિમૂનનાં ડેસ્ટિનેશન બદલાયાંવડોદરા ટ્રાવેલ્સ એસોસિયેશનના રાજેશ પંડ્યાએ જણાવ્યું કે, વડોદરાથી સંખ્યાબંધ કપલનાં હનિમૂન ડેસ્ટિનેશન બદલવાનો વખત આવ્યો છે. વડોદરાથી નજીક આવેલા સ્થળ કે ગુજરાતની બોર્ડર પાસે હોય અને કારથી જઈ શકાય તેવાં સ્થળોની માગ વધી છે. બુકિંગ વિન્ડો પર ટિકિટ રદ કરાવે તો ચાર્જ ન લાગેમુસાફરોનું ફરવા જવાનું શિડ્યૂલ હોય અને ફ્લાઈટ રદ થઈ હોય ત્યારે રિટર્ન ફ્લાઇટ ઓનલાઇન રદ કરાવાય તો કેન્સલેશન ચાર્જ લાગે છે. જોકે બુકિંગ વિન્ડો પર રદ કરાવાય તો પૂરું રિફંડ મળતું હોય છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 4:00 am

દુર્ઘટના:શાળા છુટ્યા બાદ ઘરે જતી વેળા બાઇક ચાલકે 4 છાત્રાને અડફેટે લીધી, 2ને ઇજા

ડાંગ જિલ્લાના સુબીર તાલુકાની પ્રાથમિક શાળામાં ધોરણ-7માં અભ્યાસ કરતી અને લહાનકડમાળ ગામની ચાર વિદ્યાર્થિનીઓ શાળા છૂટ્યા બાદ સાંજે 5.30 વાગ્યાના અરસામાં મહાલ રસ્તે પોતાના ઘરે જઈ રહી હતી . આ દરમિયાન, લહાનકડમાળ ફાટક નજીક કડમાળ ગામનો રહેવાસી યુવક પ્રકાશ ઝિપરભાઈ દાહવાડ બાઇક (નં. GJ-30-B-3618) બેફીકરાઈથી હંકારીને આવી રહ્યો હતો. તેણે રસ્તામાં ચાલી રહેલી ચાર પૈકી ત્રણ છાત્રાને પાછળથી ટક્કર મારી ઢસડી હતી. જોકે તેમાંથી એક છોકરીનો આબાદ બચાવ થયો હતો. જ્યારે પ્રેમિલા જમશુંભાઈ રાઉત (ઉ.વ.17)ને મોઢાના ભાગે ઈજા તથા ડાબા પગમાં ફ્રેકચર થયું હતું અને ​રવિના સોનુભાઇ પવાર (ઉ.વ. 17) ને જમણા પગમાં 12થી 15 ટાંકા આવ્યા હતા. ​ઈજાગ્રસ્ત છોકરીઓને 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સુબીર સીએચસી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલમાં રિફર કરાઈ હતી. પગમાં ફ્રેકચર થયેલી છોકરીને હાલમાં વાંસદાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસ હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી. અચાનક બનેલી ઘટનાથી ગ્રામવાસીઓમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 4:00 am

ધરપકડ:8 માસથી ફરાર હત્યાના આરોપીને વ્યારા પોલીસે ભાવનગરથી પકડ્યો

પેરોલ–ફર્લો પર ફરાર થયેલા આરોપીઓની ધરપકડ માટે હાથ ધરાયેલા વિશેષ “ઓપરેશન કારાવાસ” અંતર્ગત તાપી પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. વ્યારા પોલીસ સ્ટેશનના હત્યાના ગંભીર ગુનામાં મધ્યસ્થ જેલ લાજપોરમાંથી છેલ્લા આઠ મહિના થી ફરાર રહેલો કાચા કામનો આરોપી મહુવા ભાવનગર ખાતેથી ઝડપી લેવાયો છે. IPC કલમ 302, 307, 324, 120(B), 201, 225, 114 ના ગંભીર ગુનામાં કાચા આરોપી નં. 358/2025 પ્રતિક ખીમજીભાઈ ચુડાસમા (રહે કતારગામ, સુરત) 3 દિવસના વચગાળાના જામીન પર 8 માર્ચથી 10 માર્ચ 2025 દરમિયાન પોતાના ભાઈના લગ્ને જવા રજા પર ગયો હતો. તેને 11 માર્ચે જેલમાં હાજર થવાનું હતું, પરંતુ તે પરત ન ફરતાં તે ફરાર જાહેર થયો હતો.પેરોલ–ફર્લો સ્કોર્ડના અ.હે.કો. હરપાલસિંહ અભેસિંહ અને અ.પો.કો. બ્રીજરાજસિંહને મળેલી ચોક્કસ બાતમી આધારે ટીમે મહુવા–ભાવનગર ખાતે રેડ કરી આરોપી પ્રતિક ચુડાસમાને ઝડપી લીધો હતો. બાદમાં તેને નિયમ મુજબ મધ્યસ્થ જેલ લાજપોરમાં સોપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 4:00 am

કાર્યવાહી:વ્યારા ગાંજા પ્રકરણમાં વધુ 3 આરોપી ઝડપાયા, કુલ 5ની ધરપકડ

વ્યારા ના નગરમાં એસ ઓ જી ની ટીમ એક મહિલાના દ્વારા ઘરે 348 ગ્રામ ગાંજો સાથે મહિલાની અટક કરી હતી બીજા દિવસે એક આરોપીની અટક કરી હતી.જે બાદ આ પ્રકરણની વધુ તપાસ કરતા વ્યારા પોલીસે ત્રણ આરોપીની અટક કરી હતી. વ્યારા મગદુમનગર (મહાદેવનગર) વિસ્તારમાં રહેતી ચંદાબેન સુકલાલ જાધવ (ઉ.વ. 64) ના મકાન પર પોલીસ દ્વારા કરાયેલ રેડમાં ગેરકાયદેસર ગાંજો મળી આવ્યા બાદ કેસમાં સતત કાર્યવાહી આગળ ધપાવવામાં આવી છે. રેડ દરમિયાન કુલ 348 ગ્રામ ગાંજો, કિંમત રૂ. 17,400 તથા અન્ય મુદ્દામાલ મળી રૂ. 23,000નો માલ કબજે કર્યો હતો. આ ઘટના અંગે વ્યારા પોલીસ સ્ટેશનમાં પાર્ટ–B ગુ.ર.નં. 118240012 P24 34/2025 હેઠળ NDPS ઍક્ટ મુજબ ગુનો નોંધાયો છે.કેસમાં વોન્ટેડ જાહેર કરાયેલ આરોપી પ્રવિણભાઈ ઉર્ફે પરવેઝ ચંદ્રસિંહ વસાવા (ઉ.વ. 32, રાયગઢ સરપંચ ફળીયું, નિઝર) વ્યારા મિશન નાકા નજીક જોવા મળતાં એસ.ઓ.જી. ટીમે તેને ઝડપ્યો હતો. આ પહેલા કેસના બે આરોપી ઝડપાઈ ચૂક્યા હતા.ત્યારે હવે વ્યારા પી.આઈ. બી.જી રાવલના માર્ગદર્શન હેઠળ અન્ય ત્રણ શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી છે.જેમાં અશ્વિનભાઈ શાંતિલાલ વળવી (ઉ.વ. 26, રાયગઢ સરપંચ ફળીયું, નિઝર) તેમજ કમલેશ કિશોર પાડવી (ઉ.વ. 23, હાથનુર ગામ, નિઝર – હાલ સિમાડા , સુરત) અને દિપક દિનેશભાઈ વળવી (ઉ.વ. 29, કાલીયા આંબા મંદિર ફળીયું, નિઝર – હાલ સચીન, સુરત) ને 04/12/2025 ના વહેલી સવારે 03:15 કલાકે ઝડપી પાડવામાં આવ્યા. આ રીતે કેસમાં કુલ પાંચ આરોપીની ધરપકડ થતા પોલીસે તપાસ વધુ ગતિમાન કરી છે અને ગાંજા સપ્લાયના સૂત્રો અંગે માહિતી મેળવવા માટે પૂછપરછ પીઆઇ રાવલે ચાલુ રાખી છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 4:00 am

દુર્ઘટના:બેફામ ચાલકે ટેન્કર ડિવાઇડરમાં અથડાવ્યા બાદ પટકાતા મોત

​સુરત-ધુલિયા નેશનલ હાઇવે પર ઉચ્છલ નજીક બેડકી નાકા ચેકપોસ્ટ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક ટેન્કર પૂરઝડપે હંકારતા તે ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાયું હતું, જેના પરિણામે ચાલક કેબિનમાંથી પટકાયો હતો અને ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ઉચ્છલ પોલીસ લાઇન ખાતે ફરજ બજાવતા કોન્સ્ટેબલ પંકજભાઈ ગામીત અને તેમની સાથેના જી.આર.ડી. સભ્યો નેશનલ હાઇવે 53 પર નવાપુરથી સુરત તરફ જતા લેન પર વાહન ચેકિંગની ફરજ બજાવી રહ્યા હતા. આ જ સમયે, મહારાષ્ટ્ર નવાપુર તરફથી MP-08- HA-0394 ટેન્કર પૂરપાટ ઝડપે આવ્યું હતું. ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટેન્કર હાઇવે રોડના ડિવાઇડર પર ચઢી ગયું હતું અને ત્યાં સી.સી.ટી.વી. કેમેરાના થાંભલા સાથે જોરદાર ટકરાયું હતું. અકસ્માત એટલો ભયંકર હતો કે, ટક્કર માર્યા બાદ ટેન્કરનો ચાલક કેબિનમાંથી ફંગોળાઈને સોનગઢથી નવાપુર તરફ જતા લેન પર રોડ ઉપર પટકાયો હતો. કોન્સ્ટેબલ પંકજભાઈ અને ટીમે દોડી જઈને જોયું તો ચાલક બેભાન હતો અને માથાના ભાગેથી પુષ્કળ લોહી વહી રહ્યું હતું. તુરંત જ 108 ને બોલાવતા તપાસ કરતાં ટેન્કર ચાલકને મૃત જાહેર કર્યો હતો. પોલીસે ટેન્કરના દસ્તાવેજોની ચકાસણી અને પાછળ આવતા અન્ય ટેન્કર ચાલકોની પૂછપરછ કરતા મૃતક ચાલકનું નામ અર્જુનસિંહ રામસિંહ (મધ્યપ્રદેશ) હોવાનું જાણવા મળ્યું હતું.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 4:00 am

રાતનો સમય ગાળવા ગરીબોને મનપાએ પાકી છત આપી‎:ફૂટપાથ પર સૂતેલા 26 પરિવારને આશ્રયગૃહમાં સ્થાન આપવામાં આવ્યું

ધીમે ધીમે શિયાળો પોતાનો રંગ દેખાડી રહ્યો છે. ઘણા પરિવાર એવા છે જેમના માથા પર પાકી છત નથી આવા લોકો ફૂટપાથ કે અન્ય વિસ્તારમાં ઠંડીથી બચવા ઝઝૂમી રહ્યા છે ત્યારે આવા લોકોને રાત્રીના પાકી છત મળી રહે તે જરૂરી છે. તાજેતરમાં દિવ્ય ભાસ્કર દ્વારા ઠંડીમાં સુતેલા લોકોને તેમના માટે શરુ કરાયેલા શેલ્ટર હોમમાં જગ્યા અપાવે તેવો અહેવાલ પ્રસિધ્ધ થયો હતો, ત્યાર બાદ તંત્ર જાગ્યું હતું. ઘરવિહોણા લોકો માટે મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા આશ્રયગૃહ માટે નાઈટ-ડ્રાઈવ યોજાઇ છે અને તેના ભાગરૂપે મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે લોકોને નિઃશુલ્ક રહેવા જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી છે. ઉપરોક્ત ડ્રાઈવ દ્વારા 26 ઘરવિહોણા લોકોને પરિવાર સાથે આશ્રયગૃહ ખાતે પહોચાડાયા હતા. મોરબી મહાનગરપાલિકા દ્વારા સદર આશ્રયગૃહમાં વધુનેવધુ ઘર વિહોણા લોકોને લાભ લેવા કમિશ્નર મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 4:00 am

વેધર રિપોર્ટ:16 દિવસ બાદ ઉ.ગુજરાતમાં ઠંડીનો પારો 14.5 ડિગ્રીની નીચે, 13.8 ડિગ્રી સાથે ડીસા સૌથી ઠંડુ

ઉત્તર ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહમાં 7 ડિગ્રી ઠંડી વધી છે. શનિવારે પણ પોણા ડિગ્રીના વધારા સાથે 11 દિવસ બાદ ઠંડીનો પારો 14.5 ડિગ્રીથી નીચે આવ્યો હતો. સવારે હળવી ઝાકળવર્ષા વચ્ચે ધ્રુજાવતી ઠંડીનો અનુભવ થયો હતો. આગામી 5 દિવસ ઠંડીનો આ દબદબો યથાવત રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાતમાં શનિવારે વહેલી સવારે 75% અને બપોરે 50% ભેજનું પ્રમાણ રહ્યું હતું. અંશત: વાદળછાયા વાતાવરણ વચ્ચે વહેલી સવારે ધુમ્મસની ચાદર પથરાઇ હતી અને હળવી ઝાકળવર્ષા પણ જોવા મળી હતી. દિવસભર સુસવાટા મારતાં ઠંડા પવનોના કારણે દિવસ-રાતના તાપમાનમાં પોણો ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. 16 દિવસ બાદ ઠંડીનો પારો 14.5 ડિગ્રીથી નીચે ઉતર્યો હતો. આ દરમિયાન 13.8 ડિગ્રી સાથે ડીસા ઉત્તર ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. નીચા તાપમાન, સુસવાટા મારતાં ઠંડા પવન અને વધુ પડતાં ભેજના કારણે વહેલી સવારે ધ્રુજાવતી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. હજુ 1 થી 2 ડિગ્રી ઠંડી વધવાની શક્યતા બીજી બાજુ, દિવસનું વાસ્તવિક તાપમાન 29 ડિગ્રીની આસપાસ રહ્યું હતું, પરંતુ વધુ પડતાં ભેજના કારણે 27.5 ડિગ્રી તાપમાન અનુભવાયું હતું. જેને લઇ દિવસે પણ ઠંડકનો અનુભવ થયો હતો. હવામાન વિભાગના ટૂંકાગાળાના અનુમાન મુજબ, આગામી 5 દિવસમાં ઠંડીમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 4:00 am

પોલીસ કાર્યવાહી:દારૂની પ્રવૃતિ કરનાર વધુ એક શખ્સ પાસાના પાંજરે પુરાયો

પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર દારૂની પ્રવૃતિ કરનાર શખ્સની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યો છે. પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાંથી ગેરકાયદેસર દારૂના જથ્થામાં પકડાયેલ શખ્સ વિરૂધ્ધમાં પાસા હેઠળના અટકાયતી પગલા લેવા સુચના કરેલ હોય. જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ ઉદ્યોગનગર પોલીસ મથકે નોંધાયેલ દારૂના ગુન્હાઓમાં સંડોવાયેલ બોખીરા રબારીકેડામાં રહેતો આરોપી દેવા જેઠા કોડીયાતર વિરૂધ્ધમાં ઉદ્યોગનગર પોલીસ મથકના પીઆઈ ડી.જી.ગોહીલએ પાસા દરખાસ્ત તૈયાર કરી, પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આ શખ્સને પાસા હેઠળ અમદાવાદ જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા એલસીબી પીઆઈ આર.કે.કાંબરીયાએ શાખાની પાસા વોરંટની બજવણી કરી અમદાવાદ જેલ ખાતે મોકલી આપેલ છે. આરોપી સામે 4 ગુન્હા નોંધાયેલ છેપાસા હેઠળ ધકેલાયેલ આરોપી દેવા જેઠા કોડીયાતર વિરૂધ્ધમાં 4 ગુન્હા નોંધાયેલ છે. જિલ્લા પોલીસે જાન્યુઆરી 2025 થી અત્યાર સુધીમાં કુલ 19 આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી કરી પાસા વોરંટની બજવણી કરી પાસા હેઠળ જેલ હવાલે કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 4:00 am

છ મહિના માટે હદપાર કરાયેલો આરોપી ઝડપાયો:6 માસથી હદપાર કરાયેલા રીઢા ગુનેગારને એ ડિવિઝન પોલીસે સુખનાથ ચોકમાંથી ઝડપી પાડ્યો.

એ ડિવિઝન પોલીસે હદપાર ભંગના કેસમાં એક રીઢા આરોપીની ધરપકડ કરી છે. સુખનાથ ચોક વિસ્તારમાં રહેતા એઝાજશા ઉર્ફે એઝલો ઇસ્માઇલશા રફાઇ વિરુદ્ધ હદપારની દરખાસ્ત મોકલવામાં આવી હતી. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા છ માસ માટે જુનાગઢ અને તેની આસપાસના જિલ્લાઓમાંથી હદપાર કરવામાં આવ્યો હતો. પીઆઈ વી.જે. સાવજની સૂચનાના પગલે એ.એસ.આઇ. ભદ્રેશ રવૈયા અને પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ ચાવડા તથા સુભાષ કોઠીયાળને ખાનગી રાહે માહિતી મળી હતી. આ બાતમીના આધારે એઝલો રફાઇ સુખનાથ ચોક, ધારાગઢ દરવાજા રોડ ઉપર હાજર હોવાની ખાતરી થતાં તેને ઝડપી લેવાયો હતો. ​પોલીસે હદપારના આદેશનો ભંગ કરવા બદલ આરોપી વિરુદ્ધ જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાયદેસર ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પીએસઆઇ વાય.એન. સોલંકી, એ.એસ.આઇ. ભદ્રેશ રવૈયા, પંકજ સાગઠીયા સહિત અન્ય પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 12:12 am

ગુજરાતી સિંગર કિંજલ દવેએ કરી સગાઈ!:6 ડિસેમ્બરે એક્ટર-બિઝનેસમેન સાથે સગાઈનો વીડિયો FB પર પોસ્ટ કર્યો, જાણો કોણ છે મંગેતર

લોકપ્રિય ગુજરાતી સિંગર કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ સગાઈ કરી લીધી છે, ત્યારે આ સગાઈનો વીડિયો કિંજલ દવેએ પોતાના ફેસબુક પેજ પોસ્ટ કરી ઓફિશિયલ જાહેરાત કરી છે. કિંજલ દવેએ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે. આ યુગલની સગાઈના સમાચારથી તેમના ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, કિંજલ દવેએ એપ્રિલ, 2018માં પવન જોષી સાથે સગાઈ કરી હતી. જોકે, વર્ષ 2023માં કિંજલ અને પવનની સગાઈ તૂટી ગઈ હતી. ત્યારે સગાઈ તૂટ્યાના બે વર્ષ બાદ કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ સગાઈ કરી લીધી છે. એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે કિંજલની સગાઈકિંજલ દવેએ ધ્રુવિન શાહ સાથે ગાઈ કરી છે. 5 ડિસેમ્બરના રોજ ગોળધાણાનો પ્રસંગ યોજાયો હતો અને 6 ડિસેમ્બરના રોજ સગાઈ સેરેમની યોજવામાં આવી હતી. કિંજલ દવેના મંગેતર ધ્રુવિન શાહ એક એક્ટરની સાથે સાથે એક બિઝનેસમેન પણ છે. કિંજલ દવેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર સગાઈની ઓફિશિયલ જાહેરાત કરવાની સાથે સગાઈનો વીડિયો પોસ્ટ કરી લખ્યું- ગોડ્સ પ્લાન. કિંજલ અને ધ્રુવિન ઘણા સમયથી એકબીજાને ડેટ કરતા હતાસૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કિંજલ દવે અને ધ્રુવિન શાહ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. આ લાંબા સમયના સંબંધને હવે તેમણે સગાઈના પવિત્ર બંધનથી સત્તાવાર માન્યતા આપી છે. આ યુગલની સગાઈના સમાચારથી તેમના ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફેન્સમાં આશ્ચર્ય અને ખુશીની લહેરલોકપ્રિય સિંગ કિંજલ દવેની અચાનક સગાઈના સમાચારથી તેમના અસંખ્ય ચાહકોમાં આશ્ચર્ય અને આનંદની મિશ્ર લાગણી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર આ કપલને અભિનંદન આપતા કોમેન્ટોનો ધોધ વહી રહ્યો છે. ગુજરાતની 'ચાર ચાર બંગડીવાળી' સિંગરે તેના જીવનના આ નવા પ્રકરણની શરૂઆત કરી છે, જેને તેના પ્રશંસકોએ દિલથી વધાવી લીધી છે. કોણ છે કિંજલ દવેના મંગેતર ધ્રુવિન શાહ?કિંજલ દવેના મંગેતર ધ્રુવિન શાહ માત્ર એક અભિનેતા જ નથી, પરંતુ તેઓ એક પ્રતિષ્ઠિત બિઝનેસ ફેમિલીમાંથી આવે છે. આ ઉપરાંત તેઓ ગુજરાતી ફિલ્મો અને કન્ટેન્ટ માટેની લોકપ્રિય એપ્લિકેશન જોજો એપ (JoJo App)ના ફાઉન્ડર પણ છે. ધ્રુવિન શાહ મલ્ટી-ટેલેન્ટેડ હોવાની સાથે એક સફળ ઉદ્યોગપતિ પણ છે. કોણ છે કિંજલ દવે?કિંજલ દવેનો જન્મ 24 નવેમ્બર 1998ના રોજ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના જેસંગપરામાં થયો હતો. કિંજલ દવેને નાની ઉંમરથી ગીતો ગાવાનું શરૂ કર્યું હતું અને વર્ષ 2017માં તેના હિટ ગીત 'ચાર ચાર બંગડી'થી ખ્યાતિ મેળવી હતી. ત્યારથી તેણીએ ઘણા લોકપ્રિય ગીતો રજૂ કર્યા છે. કિંજલ દવેએ ભારત અને વિદેશમાં પણ વિવિધ મ્યુઝિક કોન્સર્ટ કર્યા છે. કિંજલ તેના પરંપરાગત ગુજરાતી લોક ગીતો માટે જાણીતી છે અને મ્યુઝિકની દુનિયામાં તેના યોગદાન માટે તેને ઘણા એવોર્ડ પણ જીત્યા છે. કિંજલના પિતા હીરાઘસુ હતાકિંજલના પિતા લલિત દવે હીરા ઘસવાની સાથે સાથે ગીતો લખવાનો પણ શોખ ધરાવતા હતા અને તે મિત્ર સાથે મળીને ગીતો પણ લખતા હતા. પિતા અને મનુ રબારીના પ્રયાસોથી નાની ઉંમરે કિંજલને ‘જોનડિયો’ લગ્નગીત આલ્બમમાં ગાવાનો મોકો મળ્યો. આ લગ્નગીત થોડાં જ સમયમાં સમગ્ર ગુજરાતમાં હિટ રહ્યું હતું અને પછી કિંજલ આખા ગુજરાતમાં લોકપ્રિય થઈ ગઈ હતી.

દિવ્ય ભાસ્કર 7 Dec 2025 12:05 am

નફાની લાલચ આપી કર્યો સાયબર ફ્રોડ:બોપલ ઘુમામાં વેપારી સાથે શેરબજારમાં રોકાણના નામે 69.43 લાખનો મોટો સાયબર ફ્રોડ

બોપલ ઘુમામાં રહેતા એક 34 વર્ષીય વેપારી સાથે શેરબજારમાં મોટા નફાની લાલચ આપી 69.43 લાખ રૂપિયા પડાવવાનો સાયબર ફ્રોડ થયો છે. વેપારી ઇલેક્ટ્રીક સામાનનો ધંધો કરે છે. તેમને એક અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો, જેમાં પોતે SEBI રજિસ્ટર્ડ કંપનીમાંથી બોલતો હોવાનું જણાવાયું હતું.આ શખ્સે વેપારીને શેરબજારની ટીપ્સ આપી અને ઓનલાઈન–ઓફલાઈન ટ્રેડિંગમાં રોકાણ કરવાથી ઘણો મોટો નફો થશે એવી લાલચ આપી. ત્યારબાદ વેપારીએ તેના જણાવ્યા મુજબ ટ્રેડિંગ એકાઉન્ટ પણ ખોલાવ્યું અને અનેક વખત પૈસા જમા કરાવ્યા. વેપારી પાસેથી અલગ-અલગ બેંક એકાઉન્ટમાં મોટી રકમ ટ્રાન્સફર કરાવીશરૂઆતમાં વેપારીને 7,500 રૂપિયાનું નફો બતાવી વિશ્વાસમાં લેવાયા. ત્યારબાદ ગઠિયાઓએ સ્કેનર અને અન્ય દસ્તાવેજો મોકલીને વેપારી પાસેથી અલગ-અલગ બેંક એકાઉન્ટમાં મોટી રકમ ટ્રાન્સફર કરાવી. બાદમાં તેમણે કંપનીના નકલી લેટરહેડ પર નફા–નુકસાનનું ખોટું સ્ટેટમેન્ટ મોકલ્યું. જ્યારે વેપારીએ દલાલી કપાઈને બાકી રકમ પરત આપવા કહ્યું, ત્યારે ગઠિયાઓએ નુકસાન દેખાડતું નકલી સરવૈયું મોકલી વધુ પૈસા માંગવાનું શરૂ કર્યું. આ પછી વેપારીને સાયબર ફ્રોડની શંકા થતા તેમણે હેલ્પલાઇનમાં ફરિયાદ કરી. હવે ગ્રામ્ય સાયબર સેલે વેપારીની ફરિયાદના આધારે 69.43 લાખના આ સાયબર ફ્રોડનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 24 રૂ. રિફંડ આપવાનું કહીને ફોન હેક કરીને 87 હજાર ખંખેરી લીધા હતાગુગલમાં ઓનલાઇન કસ્ટમર કેરનો નંબર સર્ચ કરનારા લોકો હવે રિફંડ મેળવવા અથવા વસ્તુ પરત કરવા માટે એક વખત વિચાર કરીને ફોન કરજો કારણકે સાઇબર ગઠિયાઓ હવે આ નંબરો મારફતે પણ ફોન હેક કરીને છેતરપિંડી કરી રહ્યા છે. એક મહિલાએ ઓનલાઇન એપ્લિકેશન મારફતે નાના રીંગણ મંગાવ્યા હતા. જોકે, મોટા રીંગણનું પાર્સલ આવતા તેમણે પાર્સલ રિટર્ન કરવા પ્રોસેસ કરી હતી. ગૂગલ સર્ચ કરીને કસ્ટમર કેરનો નંબર મેળવીને ઓર્ડર બાબતે વાત કરતા સાયબર ગઠિયા સાથે ભેટો થયો હતો. આરોપીએ એપીકે ફાઇલ મોકલીને તેમને 24 રૂ. રિફંડ આપવાનું કહીને ફોન હેક કરીને 87 હજાર ખંખેરી લીધા હતા. આ મામલે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ડિલિવરી એપના કસ્ટમર કેરમાં વાત કરીને ઓર્ડર પરત લઇ જવાની ફરિયાદ કરવા કહ્યું મૂળ મહારાષ્ટ્રના અને હાલ ચાંદખેડામાં રહેતા 53 વર્ષીય મહિલાએ 1 જુલાઇના રોજ ઝેપ્ટો નામની એપ્લિકેશનમાંથી શાકભાજી મંગાવ્યા હતા. ઓર્ડર કર્યા બાદ ઓટીપી આવ્યો હતો અને બાદમાં ઓર્ડર કન્ફર્મ થયો હતો. જે બાદ ડિલિવરી બોય શાકભાજીનું પાર્સલ આપી ગયો હતો. જ્યારે પાર્સલ ખોલીને જોયું તો તેમણે કરેલા ઓર્ડર મુજબનું શાકભાજી નહોતા. તેમણે મંગાવેલા નાના રીંગણની જગ્યાએ મોટા રીંગણ આવી ગયા હતા. જેથી તેમણે ડિલિવરી બોયને રીંગણ પરત લઇ જવાનું કહેતા તેણે તે પોતે રિટર્ન ન લઇ જઇ શકે પરંતુ ડિલિવરી એપના કસ્ટમર કેરમાં વાત કરીને ઓર્ડર પરત લઇ જવાની ફરિયાદ કરવા કહ્યું હતું. ત્રણેક એકાઉન્ટના પીન નંબર જાણીને 87 હજાર સેરવી લીધા હતા.ડિલિવરી બોય પાસે કસ્ટમર કેરનો નંબર માંગતા તેની પાસે નંબર ન હોવાથી મહિલાએ ગૂગલ મારફતે કસ્ટમર કેરનો નંબર સર્ચ કર્યો હતો. ગૂગલ પરથી મળેલા નંબર પર ફોન કરતા વાત કરનારે અન્ય એક નંબર આપ્યો હતો. તે નંબર ધારકે વાત કરીને વોટ્સએપ પર વિગતો માંગીને વોટ્સએપ કોલ કરીને કંપનીમાંથી બોલતો હોવાની ઓળખ આપી હતી. બાદમાં 24 રૂપિયા રિફંડ મોકલ્યા હોવાનું કહીને એક એપ્લિકેશન ડાઉનલોડ કરવા કહ્યું હતું. વોટ્સએપ પર આવેલી એપીકે ફાઇલ ડાઉનલોડ થઇ હતી. બાદમાં ગઠિયાએ બેલેન્સ જોવાનું કહીને તે બહાને સરલબેનનો ફોન હેક કરીને ફોન રીડ કરીને ત્રણેક એકાઉન્ટના પીન નંબર જાણીને 87 હજાર સેરવી લીધા હતા. મહિલાના ખાતામાંથી પૈસા જતા રહેતા આ મામલે તેઓએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 11:48 pm

ભયભીત મહિલાએ મદદ માટે બૂમો પાડી:ઘોડદોડ રોડ પર લિફ્ટનો વાયર તૂટતા મહિલા છઠ્ઠા માળેથી ત્રીજા માળે અટવાઈ, અડધો કલાકની જહેમત બાદ કરાયું રેસ્ક્યુ

સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલા નીરજ એપાર્ટમેન્ટમાં શનિવારે એક ભયાનક લિફ્ટ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં 49 વર્ષીય એક મહિલા અંદાજે અડધા કલાક સુધી લિફ્ટમાં ફસાઈ રહી હતી. સદનસીબે, ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચીને મહિલાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. છઠ્ઠા માળેથી ત્રીજા માળે ધસી આવી લિફ્ટલિબાયત વિસ્તારની રહેવાસી આ મહિલા રોજની જેમ એપાર્ટમેન્ટમાં ઘરેલું કામ કરવા માટે આવી હતી. શનિવારે પણ જ્યારે તે ઉપરના માળેથી નીચે આવવા માટે લિફ્ટનો ઉપયોગ કરી રહી હતી ત્યારે અચાનક લિફ્ટનો મુખ્ય વાયર તૂટી ગયો હતો. વાયર તૂટવાના કારણે લિફ્ટ સીધી છઠ્ઠી મંજિલ પરથી જોરદાર ઝટકા સાથે ત્રીજી મંજિલ પર આવીને અટકી ગઈ હતી. અચાનક બનેલા આ ગમખ્વાર અકસ્માતથી મહિલા ખૂબ જ ગભરાઈ ગઈ હતી અને મદદ માટે બૂમો પાડવા લાગી હતી. એપાર્ટમેન્ટના રહેવાસીઓએ મહિલાની બૂમો સાંભળીને તાત્કાલિક ફાયર બ્રિગેડને આ અંગેની જાણ કરી હતી. મજુરા ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે તુરંત પહોંચી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. લિફ્ટનો દરવાજો અંદરથી જામ થઈ ગયો હોવાથી, રેસ્ક્યુ ટીમે સુરક્ષાના તમામ માપદંડોને ધ્યાનમાં રાખીને પહેલા લિફ્ટને સ્થિર કરી હતી. ત્યારબાદ લોખંડના સાધનોની મદદથી દરવાજો ખોલવાની કામગીરી શરૂ કરી હતી. 25-30 મિનિટની જહેમત બાદ મહિલા સુરક્ષિતફાયર ઓફિસર વિજય પટેલે જણાવ્યું કે, લિફ્ટનો મુખ્ય વાયર તૂટી જવાના કારણે લિફ્ટ છઠ્ઠા માળેથી ત્રીજા માળે આવીને અટકી ગઈ હતી. આશરે 25થી 30 મિનિટની ભારે જહેમત બાદ મહિલાને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવી હતી. અકસ્માત દરમિયાન મહિલાને કોઈ ગંભીર ઈજા પહોંચી નહોતી, પરંતુ તે ખૂબ જ ગભરાઈ ગઈ હતી. ફાયર ટીમે મહિલાને પાણી પીવડાવીને શાંત પાડી હતી અને તેમના પરિવારજનોનો સંપર્ક કરાવ્યો હતો. લિફ્ટ મેઈન્ટેનન્સ પર સવાલઆ ઘટના બાદ એપાર્ટમેન્ટના રહેવાસીઓએ બિલ્ડિંગની લિફ્ટના મેન્ટેનન્સની વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આ પ્રકારની બેદરકારી ફરી ન થાય તે માટે કડક તપાસ કરવાની અને જવાબદારો સામે પગલાં લેવાની માંગણી કરી છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 11:45 pm

સુરત મનપા સંકલન બેઠકમાં ધારાસભ્યોએ તંત્રને ઘેર્યું:અરવિંદ રાણાએ ગેરકાયદે બાંધકામોની આકારણી પર સવાલ ઊઠાવ્યો, ડિમોલિશન પછી છઠ્ઠો માળ પણ નોંધાયો

સુરત મહાનગરપાલિકાની શનિવારે મળેલી સંકલન બેઠકમાં ધારાસભ્યોએ શહેરના વિકાસ કામો અને વહીવટી પ્રશ્નોને લઈને તંત્ર સમક્ષ આકરા સવાલો ઉઠાવ્યા હતા. મુખ્યત્વે મેટ્રો રેલ પ્રોજેક્ટને કારણે સર્જાયેલી ટ્રાફિક સમસ્યા અને ગેરકાયદેસર બાંધકામોના મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા. મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ અને તમામ ઝોનલ ઓફિસરોની હાજરીમાં યોજાયેલી આ બેઠકમાં પાંચ ધારાસભ્યો અરવિંદ રાણા, પૂર્ણેશ મોદી, સંદિપ દેસાઇ, મનુ પટેલ, અને પ્રવિણ ઘોઘારી ઉપસ્થિત રહ્યા હતા. જોકે, વરાછા-સરથાણાંમાં દબાણ હટાવવાના મુદ્દે કાર્યવાહી કરાવનારા ધારાસભ્ય કુમાર કાનાણી ગેરહાજર રહ્યા હતા. મેટ્રોના બેરિકેટથી લોકોએ હાલાકી ભોગવવી પડે છેશહેરમાં ચાલી રહેલી મેટ્રોની કામગીરીમાં બેદરકારી અને તેના કારણે લોકોએ ભોગવવી પડતી હાલાકીનો મુદ્દો ધારાસભ્યો પૂર્ણેશ મોદી અને પ્રવિણ ઘોઘારીએ ઉઠાવ્યો હતો. પ્રવીણ ઘોઘારીએ વરાછા વિસ્તારના મેટ્રો અંડરગ્રાઉન્ડ સ્ટેશનોના કામની પ્રગતિ અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, લાભેશ્વર ચાર રસ્તા, વસંત ભિખાની વાડી, અને લંબે હનુમાન મંદિર પાસેના અંડરગ્રાઉન્ડ સ્ટેશનોની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. તેથી, આ ત્રણેય સ્થળો પરથી રસ્તા પરના બેરિકેટ હટાવીને રસ્તો તાત્કાલિક ખુલ્લો કરવામાં આવે જેથી વાહનચાલકોને રાહત મળે. આ ઉપરાંત, તેમણે સ્મીમેર હોસ્પિટલ સામેની રાજીવ નગર ઝૂંપડપટ્ટીમાં રસ્તા પર દબાણ કરતા છ ઝુંપડાને મકાન ફાળવીને રસ્તો ખુલ્લો કરવાની પેન્ડિંગ દરખાસ્ત પર કાર્યવાહી કરવા જણાવ્યું હતું. રાહદારીઓ અને વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છેપૂર્ણેશ મોદીએ રાંદેર વિસ્તારમાં બદ્રીનારાયણથી કેબલ સ્ટેઇડ બ્રિજ સુધીના મેટ્રો બેરિકેટ હટાવવાની માંગણી કરી હતી, જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમણે હનુમાન ટેકરી સર્કલને ટ્રાફિક સમસ્યા હળવી કરવા નાનું કરવાની જરૂરિયાત પણ જણાવી હતી. વધુમાં, રોડના કામોમાં ઉપયોગમાં લેવાતી ફ્લાયએશ સમયસર નહીં ઉપાડવાથી ધૂળ ઉડે છે અને વાયુ પ્રદૂષણ થાય છે, જેથી તે તુરંત દૂર થાય તેની ખાતરી કરવા જણાવ્યું હતું. ગેરકાયદે બાંધકામોનો મુદ્દો ફરી ઉઠ્યોધારાસભ્ય અરવિંદ રાણાએ ફરી એકવાર ગેરકાયદેસર બાંધકામોના મુદ્દે મહાપાલિકાના તંત્ર પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ઈમ્પેક્ટ ફી કાયદાના અમલ બાદ સરકારે અને મહાપાલિકા કમિશનરે પરિપત્ર બહાર પાડીને ગેરકાયદે બાંધકામ ચાલુ રહે તો તે માટે જવાબદાર કર્મચારી-અધિકારી સામે પગલાં લેવાની સૂચના આપી હતી. રાણાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, ડિસેમ્બર 2022 થી સપ્ટેમ્બર 2025 સુધીમાં દરેક ઝોનમાં થયેલા ગેરકાયદે બાંધકામોના ડિમોલીશનની માંગેલી વીગતોમાં, તમામ ગેરકાયદે બાંધકામ આકારણી દફતરે નોંધાઈ ગયાની માહિતી મળી છે. તેમણે ચોંકાવનારો કિસ્સો રજૂ કરતા જણાવ્યું હતું કે, સેન્ટ્રલ ઝોનમાં અમુક મિલકતોમાં પાંચમાં માળે ડિમોલીશન કર્યા પછી તેમાં છઠ્ઠો માળ પણ ચણી દેવાયો છે અને તેની નોંધણી પણ આકારણી દફતરે થઈ ગઈ છે. આ બાબત ગેરકાયદે બાંધકામોને કાયમી કરવાના પ્રયાસો સામે ગંભીર સવાલો ઊભા કરે છે. ઉધના વિસ્તારમાં પ્રાથમિક સુવિધા અને દબાણ હટાવવા માંગધારાસભ્ય મનુ પટેલે તેમના ઉધના વિધાનસભા વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે નવા સમાવાયેલા વિસ્તારોમાં હજી પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે, જે ઝડપથી પૂરી પાડવી જોઈએ. આ ઉપરાંત, ઘણા વિસ્તારોમાં રસ્તાઓની હાલત દયનીય હોવાથી ઝડપથી રિપેરિંગ કામગીરી શરૂ કરવા જણાવ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઉધના વિસ્તારમાં ઘણી જગ્યાઓ પર દબાણકર્તાઓ દ્વારા રસ્તાઓ પર અતિશય દબાણ કરી દેવામાં આવ્યું છે, જેને તાત્કાલિક હટાવીને રસ્તાઓ ખુલ્લા કરવા જોઈએ.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 11:28 pm