SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
... ...View News by News Source

રાજકોટ રાજકુમાર જાટ અકસ્માત કેસ:જયપુરમાં આક્રોશ અને શ્રધ્ધાંજલી સભા, મોટી સંખ્યામાં જાટ સમાજના યુવાનો-નેતાઓ ઉપસ્થિત, CBI તપાસ માંગ સાથે કડક સજાની માંગ

રાજકોટ જિલ્લાના ગોંડલમાં રહેતા રાજસ્થાની યુવાન રાજકુમાર જાટના મોત બાદ રાજસ્થાનમાં જાટ સમુદાયના લોકોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. આખાએ કેસમાં યુવકનું અકસ્માતે મોત ન થયા હોવાનું તેમજ હત્યા થયા હોવાના આક્ષેપ સાથે CBI તપાસની માંગ કરવામાં આવી રહી છે અને તેના જ ભાગરૂપે આજે જયપુરમાં CBI તપાસની માંગ સાથે આક્રોશ અને શ્રધ્ધાંજલી શુભનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં યુવાનો તેમજ રાજકીય આગેવાનો આ સભામાં ઉપસ્થિત રહી CBI તપાસની માંગ સાથે પીડિત પરિવારને ન્યાય અપાવવા એકઠા થયા હતા. ઉલ્લેખનીય છે કે આ અગાઉ 25 રાજસ્થાનના 25 ધારાસભ્યો અને 04 સાંસદો દ્વારા રાજસ્થાન વિધાનસભા અને લોકસભામાં પણ CBI તપાસની માંગ સાથે રજુઆત કરવામાં આવી હતી. CBI તપાસની માંગ સાથે જયપુરમાં આક્રોશ અને શ્રધ્ધાંજલી સભા મળીરાજસ્થાની યુવાન રાજકુમાર જાટના મોત મામલે જાટ સમાજમાં આજે પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘટનાને એક મહિનો થવા આવ્યો છતાં હજુ પણ રાજસ્થાનમાં વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે અને CBI તપાસની માંગ સાથે આજે જયપુરમાં આક્રોશ અને શ્રધ્ધાંજલી સભા મળી હતી. રાજસ્થાનના યુવા એડવોકેટ જયંત મુંડે જણાવ્યું હતું કે અમારી પહેલા દિવસથી એક જ માંગ છે કે આ અકસ્માત નહિ પરંતુ હત્યા છે જે હત્યાની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા કરાવવામાં આવે જેથી સત્ય બહાર આવે અને ગુનેગારોને કડકમાં કડક સજા મળે. આ હેતુ માટે 1 એપ્રિલ 2025 (મંગળવાર)ના રોજ સવારે 11:15 વાગ્યે શહીદ સ્મારક, કમિશનરેટ જયપુર ખાતે વિરોધ અને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને નેતાઓ તથા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિરોધ અને શ્રદ્ધાંજલિ સભામાં અનેક નેતાઓએ ઉપસ્થિત રહ્યાઉલ્લેખનીય છે કે, જયપુર ખાતે મળેલ સભામાં મૃતક રાજકુમારના પિતા રતનલાલ જાટ, મૃતકની બહેન, રાજસ્થાન બેરોજગાર સંઘના પ્રમુખ અશોક ચૌધરી, અખિલ રાજસ્થાન જાટ મહાસભાના પ્રમુખ કુલદીપ ધેવા, મહિલા પ્રમુખ અંકલેશ જાખર, મારુસેના પ્રમુખ એડવોકેટ જયંતમુંડ, મારુપ્રદેશ નિર્માણ મોરચાના પૂ.સંસ્થાન યુનિવર્સિટીના રાજપૂતો, રાજપૂત સંઘના પ્રમુખ અશોક ચૌધરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થી આગેવાનો રાહુલ મહાલા, મધુસુદન શર્મા, અરવિંદ નાંગલ, નિલેશ ચૌધરી, મહિપાલ સિંહ ઉપસ્થિત રહ્યા હતા. સમોટા, કિરણ શેખાવત, સરપંચ વિક્રમ પહેલવાન, યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ મુકુલ ખીચડ, રાજ યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતા વિયોના જાટ, જીવરાજ ભીલવારા, વિજયપાલ કુડી, સંદીપ જાખર, હરિરામ કિવડા, અજય દુદી સહિત અનેક નેતાઓએ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પોલીસે માર્ગ અકસ્માત ગણાવીને મામલાને છૂપાવવાનો પ્રયાસ કર્યોયુવા એડવોકેટ જયંત મુંડએ વધુમાં જણાવ્યું હતું કે, ગત 4 માર્ચ 2025ના રોજ શંકાસ્પદ સંજોગોમાં તેમની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના માત્ર એક પરિવાર માટે ન ભરાઈ શકાય તેવી ખોટ છે પરંતુ સમગ્ર સમાજ અને દેશની ન્યાય વ્યવસ્થા માટે પણ ગંભીર પ્રશ્ન ઊભો કરે છે. પરિવારજનો અને સમાજના આક્ષેપ મુજબ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પરિવારજનોએ નાની બાબતે રાજકુમારને માર માર્યો હતો અને તેની ઘાતકી હત્યા કરી લાશ રોડ પર ફેંકી દીધી હતી. ગુજરાત પોલીસે તેને માર્ગ અકસ્માત ગણાવીને મામલાને છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે મૃતકના શરીર પર 48 થી વધુ ગંભીર ઈજાના નિશાનો દ્વારા આ દાવાને ખોટો ઠેરવવામાં આવ્યો હતો. 26 દિવસ પછી પણ કોઈ એફઆઈઆર નોંધાઈ નથી જે સ્થાનિક વહીવટીતંત્રની નિષ્ક્રિયતા અને પ્રભાવશાળી લોકોના દબાણને છતી કરે છે. મુખ્ય માંગણીઓ (1) રાજકુમાર જાટ હત્યા કેસની તપાસ તાત્કાલિક અસરથી સીબીઆઈને સોંપવામાં આવે.(2) તમામ શકમંદો ખાસ કરીને પૂર્વ ધારાસભ્યના પરિવારજનોનો પોલીગ્રાફી અને નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે.(3) ગોંડલ વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરીને ગુનેગારોનો પર્દાફાશ કરવો જોઈએ.(4) પીડિત પરિવારને સુરક્ષા અને ન્યાય મળવો જોઈએ.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 12:32 am

400 કલાકારોની કલાકૃતિએ સુરતીઓને કર્યા મંત્રમુગ્ધ:સુરતમાં 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' થીમ પર ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ, ગુજરાત અને નોર્થ ઈસ્ટના કલાનૃત્યો બન્યા આકર્ષણનું કેન્દ્ર

દેશમાં વિવિધતામાં એકતા કલા વારસામાં પણ જોવા મળે છે. દરેક રાજ્યની અલગ અલગ સંસ્કૃતિ અને પરંપરાઓ છે. નૃત્ય અને કલાના માધ્યમથી દરેક રાજ્ય પોતાની એક અલગ અને આગવી ઓળખ ધરાવે છે. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ સંસ્કૃતિના કલાકારોએ સંયુક્ત રીતે ભવ્ય નૃત્ય કલાકૃતિઓ રજૂ કરી સૌના દિલ જીતી લીધા હતા. કલાકૃતિ જોઇને સુરતીઓ મંત્રમુગ્ધ થયાપોરબંદર દિલ્લાના માધવપુર ખાતે તા. 6થી 10 એપ્રિલ સુધી માધવપુરનો ભાતીગળ મેળો યોજાશે. જેમાં સાંસ્કૃતિક વિરાસતો અને ધરોહરોને જોવા, જાણવા અને માણવાની તક મળશે. ત્યારે સુરતવાસીઓ પણ રાજ્યની આગવી સાંસ્કૃતિક પરંપરાથી અવગત થયા એ માટે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ અઠવાલાઈન્સ ખાતે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની થીમ પર આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં પૂર્વોત્તર રાજ્યોના 200 તથા ગુજરાતના 200 કલાકારોએ એકથી એક ચડિયાતી રંગારંગ પ્રસ્તુતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં સુરતીઓ હાજર રહ્યા હતા. સૌ કોઈ કલાકારો દ્વારા રજૂ કરાયેલી કૃતિઓ જોઇને મંત્રમુગ્ધ થયા હતા. કલાકારોએ પણ પોતાની કલાનું શ્રેષ્ઠતમ પ્રદર્શન કર્યું હતું. અલગ અલગ રાજ્યોના 400 કલાકારોએ ભાગ લીધોરાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, પ્રવાસન વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર અને સુરત મહાનગરપાલિકા આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વોત્તર રાજ્યો જેમાં અરૂણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, સિક્કિમ, ત્રિપુરા અને નાગાલેન્ડ અને ગુજરાતના મળી કુલ 400 કલાકારોએ સુરતમાં સૌપ્રથમવાર સંયુક્ત રીતે ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરી સુરતવાસીઓ મંત્રમુગ્ધ કર્યા હતા. દેશની બે અલગ અલગ સંસ્કૃતિના કલાકારો દ્વારા સંયુક્ત રીતે પરફોર્મ કરવામાં આવેલી આ સૌથી મોટી સામૂહિક સાંસ્કૃતિક કૃતિઓ હતી. ગુજરાત અને નોર્થ ઈસ્ટના વિવિધ કલાનૃત્યો આકર્ષણનું કેન્દ્ર બન્યાઈન્ડોર સ્ટેડિયમમાં નોર્થ ઈસ્ટના વિવિધ કલા નૃત્યોમાં અરૂણાચલનું ટેંગ કો ન્યોન, તાપુ, આસામનું બિહુ અને દાસોઅરી દેલાઈ નાચ, મણિપુરનું પંગ ઢોંગ ઢોલોક ચોલમ, મિઝોરમનું ચોંગ્લેઝવોન, વાંગલા, મેઘાલયનું કોચ, નાગાલેન્ડનું સંગતામ (માકુ હીનયાચી), સિંગઈ/યોક છમ, તેમાંગ સેલો, સિક્કિમનું ચુટકે, હોજાગીરી, ત્રિપુરાનું મમીતા અને સંગ્રેઈન નૃત્ય રજૂ કર્યા હતા. ગુજરાતના સુરેન્દ્રનગરનો રાસ, મહીસાગર ટ્રાઈબલ નૃત્ય, છોટાઉદેપુરનું રાઠવા, ડાંગનું ડાંગી, જોરાવરનગરનું હુડો, પોરબંદરના ઢાલ તલવાર અને મણિયારો, પોરબંદર ગાંધીનગરનો મિશ્ર રાસ, મોરબીના ગરબા, ભાલ વિસ્તારનું પઢાર મંજીરા નૃત્ય રજૂ કરી કલાકારોએ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 12:05 am

ઓટોરિક્ષા યુનિયનની હાઇકોર્ટમાં અરજી:હાઇકોર્ટે સરકારી વકીલને સૂચના મેળવવા કહ્યું કે ફરજિયાત મીટર લગાવવાનો હુકમ ફક્ત રિક્ષા ચાલકો માટે છે કે અન્ય કોમર્શિયલ વાહનો માટે પણ છે ?

અમદાવાદ અને વડોદરા શહેરના ઓટોરીક્ષા યુનિયનો દ્વારા હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને રાજ્યમાં ઓટોરિક્ષામાં લગાવવામાં આવતા ફલેગ મીટર ન લગાડતા કરવામાં આવતા દંડને રદ્દ કરવા માંગ કરવામાં આવી છે. જેમાં દર્શાવ્યા મુજબ કાયદા મુજબ દરેક પ્રકારના પરમિટવાળા ટ્રાન્સપોર્ટ વાહનો જેમાં ટુ વ્હિલર, થ્રી વ્હિલર, ટેકસી-મેકસી કેબ, બસ, લકઝરી અને ભારવાહક હેવી વાહનોમાં પણ કિલોમીટર માપવા અલાયદું મીટર હોવું જ જોઈએ જે પ્રજા હિતમાં છે. પરંતુ ફકત ઓટોરીક્ષા ચાલકો ઉપર આ કાયદાની અમલવારી અને દંડ રાજય સરકાર ની ભેદભાવ ભરી નિતી દશૉવે છે. રાજ્ય દ્વારા બંધારણના આર્ટિકલ 14 મુજબ સમાનતાના હકકનો ભંગ કરવામાં આવી રહ્યો છે. ફક્ત ઓટો રિક્ષાને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. બીજા કોમર્શિયલ પેસેન્જર વાહનોને શા માટે નોટીફિકેશનમાં મીટર લગાવવાથી બાકાત રાખવામાં આવ્યા છે ? કેબ ટેક્સી માટે આવી કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. જો બધા કોમર્સિયલ પેસેન્જર વાહનોને મીટર ફરજિયાત કરાય તો અરજદારોને આ જાહેરનામા સામે કોઈ વાંધો નથી. પોલીસ કમિશનર અમદાવાદ અને કાલુપુર પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સપેકટર દ્વારા આપવામાં આવેલા કચેરી હુકમ કે જેમાં 01 જાન્યુઆરી, 2025 થી ઓટોરિક્ષામાં ફલેગ મીટર લગાવવાનું ફરજિયાત હોય તેમજ ફલેગ મીટર ન લગાવેલ હોય કે બગડેલ હોય તો દંડ કરવામાં આવે છે. જેથી હાઇકોર્ટે સરકારી વકીલને આવો નિયમ ફક્ત ઓટોરિક્ષા ચાલકો માટે છે કે એની પેસેન્જર કોમર્શિયલ વાહનો માટે પણ છે, તે અંગે સૂચના મેળવી જવાબ આપવા જણાવ્યું છે. આ મુદ્દે વધુ સુનવણી 21 એપ્રિલે યોજાશે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 11:56 pm

4 દિવસમાં ગુનો દાખલ કરવા આદેશ:ભરણપોષણના કેસમાં કોર્ટના આદેશોને ધોળીને પી જતાં નાગપુરના SP, Dysp અને PI સામે ફરિયાદ નોંધવાનો કોર્ટનો આદેશ, વડોદરાની પરિણીતાએ નાગપુરમાં રહેતા પતિ સામે દાવો કર્યો

ભરણપોષણ માટેના કેસમાં કોર્ટેના આદેશ બાદ પણ નાગપુરમાં રહેતા પતિએ વડોદરામાં રહેતી પત્ની અને પુત્રને ભરણપોષણની રકમ નહી ચુકવતા પતિ વિરુધ્ધ વડોદરાની કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. જેમાં કોર્ટ દ્વારા પતિને કોર્ટમાં હાજર રહેવા માટે વારંવાર નોટિસ અને વોરંટ ઈશ્યુ કર્યા હતા, પરંતુ નાગપુર પોલીસે તેની બજવણી નહી કરતાં આ બાબતે ફરી કોર્ટમાં દાદ માંગવામાં આવી હતી, જેમાં કોર્ટેના આદેશની અવગણના અને કોર્ટના દસ્તાવેજો સગેવગે કરવા બદલ નાગપુરના ઉમરેઠ તાલુકાના એસપી, ડીવાયએસપી અને પીઆઈ વિરુધ્ધ અકોટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાનો આદેશ કર્યો હતો. વડોદરા શહેરમાં રહેતી યુવતીનું નાગપુરના ઉમરેઠ તાલુકામાં રહેતા અને નવભારત સ્વીટ નામે બે દુકાનો ધરાવતા જીતેન મેસકર સાથે લગ્ન થયું હતું જેમાં યુવતી એક સંતાનની માતા બની હતી. જોકે ત્યારબાદ દંપતી વચ્ચે વિખવાદ થતાં પતિના ત્રાસથી કંટાળીને યુવાન પરિણીતા તેના સંતાન સાથે પિયરમાં પરત ફરી હતી અને તેણે પતિ વિરુધ્ધ વડોદરાની કોર્ટમાં ભરણપોષણનો દાવો કર્યો હતો જેમાં કોર્ટે ગત 2014માં પરિણીતા અને તેના સંતાનને દરમહિને 25 હજારનું વચગાળાનું ભરણપોષણ ચુકાવવાનો આદેશ કર્યો હતો. જોકે પતિ કોર્ટના આદેશને ધોળીને પી ગયો હતો અને તેણે એક વખત પણ ભરણપોષણની રકમ નહી ચુકવતાં પરિણીતાએ વકીલ મહેન્દ્રભાઈ પરમાર મારફત પતિ પાસેથી ભરણપોષણના નાણાં મેળવવા માટે દાવો કર્યો હતો. જેમાં કોર્ટે પતિ જીતેનને દાવાના કામે વડોદરા કોર્ટમાં હાજર થવા માટે વારંવાર નોટીસ કાઢી અને વોરંટ ઈશ્યું કર્યા હતા. જોકે નાગપુરની સ્થાનિક પોલીસે જીતેનને કોઈ વોરંટ કે નોટિસ નહી બજવતા કોર્ટે નાગપુરના એસપીને નોટીસ મોકલી હતી કે, નાગપુર પોલીસને કોર્ટ દ્વારા અત્યાર સુધી જે નોટીસ અને વોરંટ ઈશ્યુ કરાયા છે તેની સામાવાળાને બજવણી કેમ નથી થઈ તેનો અત્રે આવીને ખુલાસો કરો તેમજ જેટલા સમન્સ અને નોટીસ મોકલાઈ છે તે તમામ કાગળો જે કોર્ટના દસ્તાવેજો છે તે પણ 27 તારીખ સુધી રજુ કરો. જોકે કોર્ટેના આદેશ બાદ પણ નાગપુરના એસપી કોર્ટમાં હાજર થયા નહોંતા કે તેમણે કોઈ જવાબ પણ આપ્યો નહોંતો. આ અંગે અરજદારના ધારાશાસ્ત્રી મહેન્દ્રભાઈ પરમારે જણાવ્યું હતું કે નાગપુર પોલીસે કોર્ટના આદેશને નહીં ગણકારતા તેમજ કોર્ટના કાગળો સગેવગે કર્યા હોઈ આ કેસમાં કોર્ટે કડક વલણ અપનાવીને નાગપુર પોલીસના એસપી, ડિવાયએસપી અને ઉમરેઠ તાલુકાના પીઆઈ વિરુધ્ધ 4 દિવસમાં બીએનએસની કલમ 198, 199, 223,253 અને 254 હેઠળ ગુનો નોંધવાનો અને ગુનો નોંધાયાની કોર્ટમાં જણા કરવાનો આદેશ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 11:01 pm

પોરબંદરમાં ચૈત્રી નવરાત્રીની ભવ્ય ઉજવણી:ખારવા સમાજે કેદાર કુંડમાં ગોરમાવડીનું આસ્થાભેર વિસર્જન કર્યું, હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા

પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા ચૈત્રી નવરાત્રીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. આજે ચૈત્ર સુદ ચોથના દિવસે ગોરમાવડી (રાંદલ માતાજી)નું આસ્થાભેર વિસર્જન કરાયું. ખારવા સમાજના પટેલ મોહનભાઈ લોઢારીના જણાવ્યા મુજબ, ફાગણ વદ અગિયારસના દિવસથી ગોરમાવડીની સ્થાપના કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન માતાજીની પૂજા-અર્ચના અને ભોગ ધરાવવામાં આવે છે. ચૈત્ર માસના પ્રથમ નોરતેથી રાત્રે બહેનો રાસ-ગરબે રમે છે. ચૈત્ર સુદ ત્રીજના દિવસે જાગરણનું આયોજન કરવામાં આવે છે. ચોથના દિવસે ગોરમાવડીનું વિસર્જન કરાય છે. ખારવાવાડમાંથી ઢોલ-શરણાઈ અને બેન્ડવાજા સાથે માતાજીની રવાડી નીકળે છે. આ સમયે ચોખા અને પુષ્પોની વર્ષા કરવામાં આવે છે. પોરબંદર સહિત સમગ્ર ગુજરાતમાં ખારવા સમાજ દ્વારા ચૈત્રી નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. આજે કેદારેશ્વર મંદિર સ્થિત પૌરાણિક કેદાર કુંડમાં ગોરમાવડીનું વિસર્જન કરવામાં આવ્યું. આ પ્રસંગે હજારોની સંખ્યામાં ખારવા સમાજના ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 10:02 pm

પોશીનાના મેળામાં યુવક પર હુમલાનો મામલો:રાજસ્થાની યુવકને માર મારનાર યુવકને પોલીસે દબોચ્યો

પોશીના તાલુકાના ગુણભાખરી ખાતે યોજાયેલા ચિત્રવિચિત્રના મેળામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પટેલ ફળિયા પેટા છાપરાના પાર્થ પટેલે રાજસ્થાની યુવક પર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. ઘટના અંગે જાણવા મળ્યા મુજબ, મેળામાં રાજસ્થાનના એક યુવક સાથે પાર્થ પટેલની બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી ઝઘડામાં પરિણમી હતી. ઉશ્કેરાયેલા પાર્થ પટેલે શેરડીના સાંઠાથી રાજસ્થાની યુવક પર હુમલો કર્યો હતો. ઇડર વિભાગના DYSP સ્મિત ગોહિલના જણાવ્યા અનુસાર, વાઇરલ થયેલા વીડિયોના આધારે પોશીના પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ સંજયભાઈએ ફરિયાદ નોંધાવી હતી. આરોપી પાર્થ પટેલ સામે BNS 204 અને જીપીએક્ટ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસે આરોપી પાર્થ પટેલની ધરપકડ કરી લીધી છે. પોશીના પોલીસ સ્ટેશનના PI એલ.જે.વાળા આ કેસની વધુ તપાસ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 9:55 pm

સરકાર અને હાઉસિંગ કમિશનરને ગુજરાત હાઉસિંગ વસાહત મંડળના પ્રમુખની રજૂઆત:રીડેવલોપમેન્ટ થતા મકાનોમાં ઓછામાં ઓછો કારપેટ એરિયા 50 ચો.મી. આપવો જોઇએ: દિનેશભાઇ બારડ

ગુજરાત હાઉસિંગ વસાહત મંડળના પ્રમુખ દિનેશભાઇ બારડે જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિ અને સંજોગો અને વિકાસની સાથે આજના સંજોગોને ધ્યાનમાં રાખી તથા મકાનની ઓછામાં ઓછી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રીડેવલોપમેન્ટ યોજનામાં સરકારની સંસ્થાઓ દ્વારા થતું રીડેવલોપમેન્ટ જેમ કે, ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં રીડેવલોપમેન્ટમાં જે કારપેટે એરિયા જુનો જે આપેલો તે સમયની જરૂરિયાત હતી. આજે સમય બદલાઇ ગયો છે એટલે આટલા સમયમાં જ્યારે મકાનોનું રીડેવલોપમેન્ટ થઇ રહ્યું હોય ત્યારે ઓછામાં ઓછો કારપેટ એરિયા 50 ચો.મી આપવું જોઇએ. હાલમાં 2016ની પુનઃ નિર્માણ પોલિસીમાં 3:1 બ-3માં જો હૈયાત કાર્પેટ વિસ્તારના 140 ટકા અથવા 50 ચો.મી બેમાંથી જે વધારે હોય તે પ્રમાણે આપવામાં આવે તે પ્રમાણે સુધારો ક૨વામાં આવે તો પુનઃ નિર્માણમાં બધી જ વસાહતોને નવું બાધકામ ઓછામાં ઓછો 50 ચો.મી મળે એટલે બધી જ વસાહતો જોડાય અને હાલમાં 2016 પોલિસી પ્રમાણે 30 ચો.મી છે તે ઘણું જ નાનું મકાન મળે છે જે રહીશ છેલ્લા 40થી 50 વર્ષ રહેતો હોય અને આટલા વર્ષો પછી પણ જો એને રીડેવલોપમેન્ટમાં પ્રમાણસર મકાન ના મળે તો તેનો કોઇ અર્થ નથી અને જો 50 ચો.મી કારપેટ એરીયા પ્રમાણે મળે તો ઘણી બધી યોજનાઓ તેમાં સફળતાપૂર્વક જોડાઇ શકે તેમ છે. સરકાર અને હાઉસિંગ કમિશનર પાસે અમારી રજૂઆત છે તો ઓછામાં ઓછો 50 ચો.મી કારપેટ એરિયા મળવો જોઇએ. બીજું વિશેષમાં ખાસ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા એવા ઠરાવ કરવામાં આવ્યા છે કે, ગુજરાત હાઉસિંગ બોર્ડના નવા બનનારા યુનિટ ઉપર બિલ્ડર તેની ઉપર પ્રોજેક્ટ લોન લઇ શકે છે, પરંતુ તેમાં એવી કોઇ સ્પષ્ટતા નથી કે જુના જે રહીશો છે એને જે નવા મકાનમાં આપવાના છે તે અને નવા વધારાના આવાસો બનવાના છે તે એમ બંનેની જે સંયુક્ત જમીન છે તેનું શું બીજું કે પ્રોજેક્ટ ઉપર લોન લેનાર ડેવલોપર કોઈ કારણોસર લોન ભરવામાં નિષ્ફળ જાય તો એ લોન ભરપાઇ કરવાની જવાબદારી કોની તેની પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી. બીજો દાખલા તરીકે હાલના ટેન્ડરમાં ડેવલોપર રીડેવલપમેન્ટમાં જનારી સોસાયટીમાં જમીનમાં ટુ પાર્સલ કરી શકશે એવા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે એના ઘણા બધા અર્થ થાય. આમ છતાં ડેવલોપર સોસાયટીના જમીનના બે પાર્ટ પાડી શકાય તે રીતે તેનું અર્થઘટન કરે છે. હવે તેને સાબિત કરવા માટે કોર્ટમાં જવું પડે અને ત્યાં વકીલો તેની રીતે અર્થઘટન કરતા હોય છે અને જેના કારણે રહીશોને સોસાયટીના બે પાર્ટ પાડી દેવા માટેની ફરજ પાડવામાં આવે છે. આ રીતે શબ્દોની હેરાફેરીના કારણે એના અર્થના કારણે જૂના રહીશુંને ઘણો બધો ગેરફાયદો થવાની શક્યતાઓ છે તો આવા ઠરાવનો વિરોધ કરવો જોઇએ અને આવી કોઇ પ્રોજેક્ટ લોન આપવી ના જોઇએ. કાયદાની આંટી ઘુંટીમાં સામાન્ય રહીશો અટવાઇ જશે. જ્યારે લોન ભરવામાં કોઇ નિષ્ફળ જાય ત્યારે આ બાબતોમાં કોર્ટ કેસ કરવાનું થાય છે, ત્યારે પેપર ઉપરના શબ્દોનો ઘણો અર્થ અને અનર્થ થતો હોય છે અને તેનો ભોગ સામાન્ય રહીશો બનતા હોય છે. એટલે આ પ્રોજેક્ટ લોનનો એફઆરસી હોય કે જે હોય તે તેનો વિરોધ ગુજરાત હાઉસિંગ વરસાદ મંડળ કરશે અને આ બાબતે તેઓ ગુજરાત હાઉસિંગ બોર્ડ કમિશનર તથા ગુજરાત સરકારને પાસે રજૂઆત કરીને તેનો વિરોધ દર્શાવશે અને આ બાબતે ચળવળ દ્વારા તેનો વિરોધ કરાશે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 9:51 pm

પોરબંદરમાં કલેક્ટરની સ્પષ્ટ ચેતવણી:સરકારી જમીન પરથી દબાણ સ્વેચ્છાએ દબાણ નહીં હટે તો બુલડોઝર ફરશે

પોરબંદર જિલ્લામાં સરકારી જમીનો પરના દબાણો હટાવવા માટે વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટર એસડી ધાનાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી પત્રકાર પરિષદમાં આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. કલેકટર ધાનાણીએ સ્પષ્ટ કર્યું કે સરકારી જમીનો પરના તમામ પ્રકારના દબાણો દૂર કરવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ દબાણોમાં મકાનો, ધાર્મિક સ્થળો, ઓટલા અને વાડાઓનો સમાવેશ થાય છે. વહીવટી તંત્રએ જિલ્લાના નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સરકારી જમીન પરના દબાણો સ્વેચ્છાએ દૂર કરે. જો આમ નહીં કરવામાં આવે તો બુલડોઝર દ્વારા દબાણો હટાવવાની કાર્યવાહી કરવામાં આવશે. કલેકટરે જણાવ્યું કે દબાણ હટાવ કામગીરી માટે જરૂર પડ્યે બહારની ટીમોની મદદ પણ લેવામાં આવશે. ઉપરાંત, ગેરકાયદેસર ખનીજ ખનન કરનારા તત્વો સામે કડક પગલાં લેવાશે. ગૌચરની જમીન પરના દબાણો દૂર કરવા માટે પણ વિશેષ અભિયાન હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 9:51 pm

કમોસમી વરસાદની ચેતવણી:દેવભૂમિ દ્વારકામાં ખેડૂતોને પાક બચાવવા માટે સૂચનાઓ જાહેર

હવામાન વિભાગે આગામી 8 એપ્રિલ સુધી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરી છે. આ કમોસમી વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રે ખેડૂતો માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. ખેડૂતોને સૂચના આપવામાં આવી છે કે તેઓ ખેતરમાં કાપણી કરેલા પાકને તાત્કાલિક સલામત સ્થળે ખસેડે. જો આ શક્ય ન હોય, તો પાકને પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવાનું રહેશે. ઢગલાની આસપાસ માટીનો પાળો બનાવવાનો રહેશે જેથી વરસાદનું પાણી પાક સુધી ન પહોંચે. ખાતર અને બિયારણના વેપારીઓને પણ તેમનો જથ્થો ગોડાઉનમાં સુરક્ષિત રાખવા જણાવવામાં આવ્યું છે. માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ અને ખેડૂતોને આ સમયગાળા દરમિયાન ખેતપેદાશોનું વેચાણ ટાળવા અથવા સુરક્ષિત રાખવા સૂચના આપવામાં આવી છે. વધુ માહિતી માટે ખેડૂતો ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી અથવા નાયબ ખેતી નિયામક (તાલીમ)નો સંપર્ક કરી શકે છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 9:49 pm

લુણાવાડા-અમદાવાદ હાઈવે પર ટ્રેક્ટર-ટ્રક વચ્ચે અકસ્માત:સોનાવાડા ગામ નજીક ટ્રેક્ટરમાં સવાર એક શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત

લુણાવાડા-અમદાવાદ હાઈવે પર સોનાવાડા ગામ નજીક એક દુર્ઘટના સામે આવી છે. સોનાવાડા ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ નજીક લાકડા ભરેલા ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રેક્ટરમાં સવાર એક શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં કોઠંબા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 9:44 pm

બોટાદ પોલીસની નેત્રમ ટીમની પ્રશંસનીય કામગીરી:CCTVની મદદથી ખોવાયેલી બેગ અને પાકિટ માલિકને પરત કર્યા

બોટાદ પોલીસ દ્વારા 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત બે અલગ-અલગ ઘટનાઓમાં ખોવાયેલી વસ્તુઓ તેમના માલિકોને પરત કરવામાં આવી છે. આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર અને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી. પ્રથમ ઘટનામાં, 31 માર્ચના રોજ અક્ષરભાઈ નરેન્દ્રભાઈ વાઘેલા રેલ્વે સ્ટેશનથી ગઢડા રોડ તરફ રિક્ષામાં જતા હતા. રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમની રૂ.15,000ની કિંમતના નવા કપડા ભરેલી બેગ ભૂલી ગયા. નેત્રમ ટીમે VISWAS પ્રોજેક્ટ હેઠળ લગાવેલા CCTVના ફૂટેજની મદદથી રિક્ષા નંબર GJ-03-AW-4285 શોધી કાઢી અને બેગ પરત અપાવી. બીજી ઘટનામાં, 1 એપ્રિલના રોજ સમીરભાઇ શરીફભાઈ સીદાતરનું પાકિટ જ્યોતિગ્રામ સર્કલ પાસે ખોવાયું હતું. પાકિટમાં રૂ.5,500 રોકડા અને મહત્વના દસ્તાવેજો હતા. નેત્રમ ટીમે CCTVના ફૂટેજમાં જોયું કે એક રિક્ષા ચાલક પાકિટ લઈ ગયો હતો. ટીમે રિક્ષા નંબર GJ-01-TG-7448 શોધી કાઢી અને પાકિટ તેના માલિકને પરત કર્યું. બંને કેસમાં પોલીસની ત્વરિત અને કુશળ કામગીરીથી માલિકોને તેમની ખોવાયેલી વસ્તુઓ પાછી મળતા તેમણે બોટાદ જિલ્લા પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે. આ કામગીરી ટેકનોલોજીના ઉપયોગ અને પોલીસની કાર્યક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 9:41 pm

ગુજરાતમાં શેરડીના ભાવમાં નર્મદા સુગર ત્રીજા ક્રમે:બારડોલી સુગર પ્રથમ, કામરેજ બીજા ક્રમે; ખેડૂતોમાં ખુશીનું મોજું

રાજપીપળાની નર્મદા સુગર ફેક્ટરીએ નવી પીલાણ સીઝન માટે શેરડીના ભાવ જાહેર કર્યા છે. ફેક્ટરીએ એક ટનના ૩,૪૫૫ રૂપિયા ભાવ નક્કી કર્યા છે. આ ભાવ રાજ્યની સુગર ફેક્ટરીઓમાં ત્રીજા ક્રમે છે. બારડોલી સુગરે સૌથી વધુ ૩,૫૦૨ રૂપિયા ભાવ જાહેર કર્યા છે. કામરેજ સુગરે ૩,૪૮૧ રૂપિયા ભાવ નક્કી કર્યા છે. નર્મદા સુગરના સારા ભાવથી ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. કેટલાક ખેડૂતો ફૂલહાર લઈને સુગર ફેક્ટરી પહોંચ્યા હતા. તેમણે ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, એમડી નરેન્દ્રભાઈ પટેલ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સને શુભેચ્છાઓ પાઠવી હતી. રાજ્યની અન્ય સુગર ફેક્ટરીઓમાં સાયણે ૩,૪૧૬ રૂપિયા, મઢીએ ૩,૩૫૧ રૂપિયા, મહુવાએ ૩,૨૭૧ રૂપિયા અને ચલથાણે ૩,૧૭૬ રૂપિયા ભાવ જાહેર કર્યા છે. ગણદેવી, પંડવાઈ, મરોલી, વડોદરા, વલસાડ, કાંઠા અને કપોર સુગર ફેક્ટરીઓએ હજુ ભાવ જાહેર કર્યા નથી. ગત વર્ષની સરખામણીમાં નર્મદા સુગરે ઊંચા ભાવ જાહેર કરતાં ભરૂચ-નર્મદાના ખેડૂતો ખુશ છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 9:34 pm

બ્રિટિશ સિટીઝનની અપીલ નકારતી હાઈકોર્ટ:2002ના રમખાણોમાં પ્રાંતિજ પાસેના તોફાનોમાં બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશનને ફરિયાદ મળી હતી

વર્ષ 2002ના રમખાણો દરમિયાન પ્રાંતિજ ખાતે બનેલી ઘટનામાં બ્રિટિશ સિટીઝન ઇમરાન મોહમ્મદ દાઉદ દ્વારા સ્પેશિયલ કોર્ટના ચુકાદાને પડકારતી અપીલ હાઇકોર્ટે ફગાવી કાઢી છે. વડવાસા ગામ પ્રાંતિજ પાસે વર્ષ 2002માં થયેલા તોફાન કેસમાં બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશનને ફરિયાદ મળતાં હાઇ કમિશન દ્વારા સાઇટ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પોલીસની મદદથી ફરિયાદ નોંધવામાં આવી હતી અને તોફાનની તપાસ કરી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા ચાર્જશિટ ફાઇલ કરવામાં આવી હતી. સાંબરકાંઠાના ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા ચાર્જશિટમાં દર્શાવવામાં આવેલા આરોપી સામે પુરતા પુરાવાના અભાવે આરોપીઓને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા. જે વિરૂદ્ધ બ્રિટિશ સિટીઝન ઇમરાન દાઉદે હાઇકોર્ટમાં અપીલ ફાઇલ કરી હતી. જે અપીલ હાઇકોર્ટે ફગાવી દઇને સ્પેશિયલ કોર્ટના ચુકાદાને બહાલ રાખ્યો હતો. હાઇકોર્ટે નોંધ્યું હતું કે, આ કેસમાં આરોપીઓના નામ કઇ રીતે સામે આવ્યા અને કઇ રીતે તેમની વિરૂદ્ધ તપાસ અને ટ્રાયલ થઇ એ મુદ્દો સૌથી અગત્યનો છે. બ્રિટિશ હાઇ કમિશનને એક નનામો ફેક્સ લેટર મળ્યો હતો અને સમગ્ર કેસ આ ફેક્સના મૂળમાં જ છે. જેમાં આરોપીઓના નામ હતા. કોર્ટ દ્વારા બ્રિટિશ કોન્સુલેટના અધિકારી કે જેને ફેક્સ મળ્યો હતો એની ઉલટતપાસ થઇ હતી અને તેણે જણાવ્યું હતું કે તેણે 10 શંકાસ્પદોના નામ DIG અને તપાસ અધિકારીને સોંપ્યા હતા. તેથી આ કેસની તપાસની શરૂઆત નનામા ફેક્સ મેસેજના માધ્યમથી થઇ હતી, નહીં કે કોઇ પુરાવા અથવા નજરે જોનારા સાક્ષીના આધારે. તેથી ઉક્ત કારણોસર સ્પેશિયલ કોર્ટે આરોપીઓને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો જે હુકમ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 9:30 pm

રાજકોટ ક્રાઇમ ન્યૂઝ:યુપીનો શખસ હોળીના તહેવારમાં ઘરે ગયા બાદ પરત આવતા દેશી તમંચો અને જીવતા કાર્ટીસ સાથે લાવ્યો, વેંચે તે પહેલા ઝડપાયો

રાજકોટ આજીડેમ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સાંઈબાબા સર્કલ નજીક એક શખસ ગેરકાયદેસર હથિયાર સાથે ઉભો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી રાજનકુમાર સદાનંદ ગૌતમ (ઉ.વ.23)ને પકડી પાડી તેની પાસેથી ગેરકાયદેસર દેશી બનાવટનો તમંચો તથા જીવતા કાર્ટીસ નંગ 2 કબ્જે કરી કાર્યવાહી કરી હતી. પકડાયેલ શખસ મૂળ ઉત્તરપ્રદેશનો વતની છે અને અહીં તે કારખાનામાં રહી મજૂરીકામ કરે છે. હોળી પર તે વતન ગયો ત્યારે બનારસથી તમંચો અને જીવતા કાર્ટીસ ખરીદ્યા હતાં અને ગઈકાલે જ ટ્રેન મારતફ રાજકોટ આવ્યો હતો અને અહીં હથિયાર વેંચે તે પહેલાં જ પોલીસે પકડી લીધો હતો. ઓનલાઈન જુગાર રમતા આરોપીની ધરપકડ કરીઆકાશ કેટરર્સની બાજુમાં આકાશ ભરત ઘોરડા નામનો શખ્સ જાહેરમાં પોતાના મોબાઇલ ફોનમાં રહેલ માસ્ટર આઈડીમાંથી લાઇવ કસીનો અને ક્રિકેટની રમતમાં જુગાર રમવા માટેની આઈડીઓ બનાવી અન્ય લોકોને આઇડી ફોરવર્ડ કરી રૂપિયા લઇ ઓનલાઇન જુગાર રમાડે છે એવી ચોક્કસ બાતમીના આધારે બાતમીના સ્થળે દોડી જઇ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે હાજર શખસને અટકાયતમાં લઇ તેનું નામ પૂછતા પોતાનું નામ આકાશ ભરત ઘોરડા (ઉ.વ.33) જણાવ્યું હતું. પોલીસે આરોપી પાસે રહેલ મોબાઇલ ફોનમાં જોતાં ગુગલ ક્રોમ એપ્લિકેશનમાં એક રેડ 777 નામની આઈ.ડી. જોવામાં આવી. જેમાં યુઝરનેમ બાબતે પૂછતા જણાવ્યું કે, પોતે માસ્ટર આઇ.ડી.માંથી લાઇવ કસીનો અને ક્રિકેટ રમતમાં જુગાર રમવા માટે અન્ય લોકોને આઇડી ફોરવર્ડ કરી રૂપિયા લઈ જુગાર રમાડે છે. પોલીસે આરોપીનો ધરપકડ કરી મોબાઈલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. IPL સિરીઝની ક્રિકેટ મેચ પર જુગાર રમાતો હોવાની બાતમી મળી હતીરાજકોટ શહેર PCB ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કેશરીહિંદ પુલથી બેડીનાકા તરફ જવાના રોડ પર વિજય કુંવરબા બગીચા પાસે જીજ્ઞેષભાઈ રાડીયા નામનો શખ્સ પોતાના મોબાઇલ ફોનમાં IPL સિરીઝની ક્રિકેટ મેચ ઉપર રૂપિયાની હારજીતનો જુગાર રમે છે એવી ચોકકસ બાતમીના આધારે બાતમીના સ્થળે દરોડો પાડી શખ્સને અટકાયતમાં લઈ નામ પુછતા પોતાનુ નામ જીજ્ઞેશ વિનોદ રાડીયા (ઉ.વ.32) હોવાનું જણાવ્યું હતું. તેની પાસે રહેલ મોબાઇલ ફોન જોતા મોબાઇલમાં ઓન સ્ક્રીન ગુગલ ક્રોમ બ્રાઉઝરમા બેટફ્લેસ.કોમ આઈ.ડી. જોવામાં આવેલ જેમાં રૂ.2568 બેલેન્સ જોવામાં આવેલ તથા મુંબઈ ઇન્ડીયન્સ અને કોલકત્તા નાઇટ રાઇડર વચ્ચે ચાલતી લાઇવ ક્રિકેટ મેચ ઉપર અલગ-અલગ સોદા કરેલનુ જોવામાં આવતાં રૂ.10 હજારનો મોબાઈલ કબ્જે કરી ધરપકડ કરી આઇડી બાબતે પુછતા પોતાને આઇડી આશરે 3 માસ પહેલા દિવ્યરાજસિંહ કે પરમાર નામના શખ્સે આપ્યાની કબુલાત આપતાં તેની શોધખોળ હાથ ધરી છે. કોર્ટે પત્નીની વચગાળાના ભરણપોષણની અરજી રદ કરીરાજકોટની મહિલાના બીજા લગ્ન તા.6.6.2022ના રોજ થયેલ અને માત્ર 22 દિવસના લગ્નજીવનમાં બન્ને વચ્ચે તકરારો થતાં મહિલા પોતાના પિયર રહેવા ગયેલહતી. પતિ કરિયાવર તથા સ્ત્રીધન ઓળવી ગયેલ હોય, દહેજ માંગતા હોય, સાસરામાં મેણાં-ટોણાં મારતા હોય, ગાળો આપતા હોય, મારકૂટ કરતાં હોય તથા ઘરમાંથી કાઢી મુકેલ હોય તેવા અલગ-અલગ આક્ષેપોવાળી અરજી કરી ભરણપોષણ માંગ્યું હતું. પતિના એડવોકેટ હર્ષિલ શાહે જવાબ-વાંધા તથા તેના સમર્થનમાં જરૂરી દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. પત્નીએ વચગાળાના ભરણપોષણ માટે રૂ.20,000ની માંગણી કરી હતી. પતિના એડવોકેટએ દલીલ કરેલ કે, પત્ની આવક મેળવતી હોવાના, પોતાનું ભરણપોષણ કરવા સક્ષમ હોવાના તથા ખોટી અરજી તથા સોગંદનામું કરેલ હોવાના તથા માત્ર 22 દિવસના ટૂંકા લગ્નજીવનમાં 15 લાખ રૂપિયા જેવી માતબર રકમની માંગણી તથા દબાણ કરતાં હોવાની સ્ત્રી ડીવોર્સ માટે મોટી રકમ પડાવવાનો એકમાત્ર પ્રથમ દર્શનીય હેતુ હોય. જેથી સ્ત્રી તરફેના કાયદાનો દુરુપયોગ અટકાવવા દલીલ કરેલ. જે કોર્ટ દ્વારા માન્ય રાખી અરજદાર પત્નીની વચગાળાના ભરણપોષણની અરજી રદ કરવામાં આવી હતી. ચોરીના ગુનામાં આરોપીને પાસામાં ધકેલી જેલ હવાલે કર્યોરાજકોટ શહેર અને કેશોદમાં ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને ભકિતનગર પોલીસે પાસામાં ધકેલી અમદાવાદ મધ્યસ્થ જેલ હવાલે કરેલ છે. ભકિતનગર પોલીસ સ્ટેશનના અલગ-અલગ 4 ગુનાઓમાં સંડોવાયેલ આરોપી મુકેશ ઉર્ફે મુકો ભાદાભાઈ સોલંકી વિરૂદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરતા પોલીસ કમિશનરે પાસા વોરંટ ઈસ્યુ કરતા વોરંટની બજવણી કરી મુકેશ ઉર્ફે મુકોની અટકાયત કરી અમદાવાદ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 9:28 pm

ONGC એન્જિનિયર સાથે 18.80 લાખની ચીટીંગ:ફલેટ આપવાના બહાને છેતરપિંડી, વ્હોટ્સએપ અને સ્નેપચેટ એગ્રીમેન્ટ મોકલ્યો હતો

સુરતના વેસુ વિસ્તારમાં એક ONGC એક્ઝિક્યુટિવ એન્જિનિયરને ફલેટ અપાવવાના બહાને 18.80 લાખ રૂપિયાની છેતરપિંડી કર્યાનો મામલો સામે આવ્યો છે. આરોપીઓએ માત્ર એક નહિ પણ અન્ય કર્મચારીઓ સાથે પણ આવી જ રીતે છેતરપિંડી કરી હોવાનો ખુલાસો થયો છે. વેસુ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે આરોપી અવિનાશ દશરથ પારેખ અને તેનો સાગરીત રાજેશ જયંતીલાલ મહેતા સામે ચીટીંગનો ગુનો નોંધાયો છે. અગાઉ ONGCના અન્ય કર્મચારીઓને પણ ફલેટ અપાવ્યા છેમગદલ્લા ફેઝ-1, ONGC નગરમાં રહેતા 29 વર્ષીય અમિત રામતિલક ગુપ્તા હજીરાના ONGC પ્લાન્ટમાં એક્ઝિક્યુટીવ એન્જિનિયર તરીકે નોકરી કરે છે. વર્ષ 2022ના ડિસેમ્બરમાં, ONGCના જ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં કામ કરતા અવિનાશ પારેખે અમિત ગુપ્તાને વેસુ સ્થિત રઘુવીર સ્પેલેક્ષમાં ફલેટમાં રોકાણ કરવાની સલાહ આપી હતી. અવિનાશે દાવો કર્યો કે, તેણે અગાઉ ONGCના અન્ય કર્મચારીઓને પણ ફલેટ અપાવ્યા છે. બંને વચ્ચે 62.94 લાખ રૂપિયાનો સોદો નક્કી થયો હતો20મી ડિસેમ્બર, 2022ના રોજ અવિનાશ પારેખે અમિત ગુપ્તાને મળીને કહ્યું કે, તેના મિત્રનો ફલેટ વેચાણ માટે ઉપલબ્ધ છે, જે રાંદેર, રૂપાલી સિનેમાની સામે આવેલ “જય અંબે ફર્નિચર” દુકાન ધરાવતો છે. ત્યારબાદ તે અમિત ગુપ્તાને આ વ્યક્તિ સાથે મળવા લઈ ગયો. બંને વચ્ચે 62.94 લાખ રૂપિયાનો સોદો નક્કી થયો હતો. પ્રારંભમાં, અમિત ગુપ્તાએ 1 લાખ રૂપિયાની ચૂકવણી કરી. ત્યારબાદ, ટુકડે-ટુકડે મળીને 18.80 લાખ રૂપિયાની રકમ ચેક અને ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા અવિનાશ પારેખને આપવામાં આવી. આ સાથે, અવિનાશે વ્હોટ્સ એપ પર એક એગ્રીમેન્ટ સ્નેપ ચેટ પણ મોકલ્યો હતો. ફલેટ બીજાને વેચી માર્યો, દસ્તાવેજની માંગે બહાનાબાજીઅમિત ગુપ્તાએ જ્યારે ફલેટ માટે દસ્તાવેજ કરાવવા માગ્યું ત્યારે અવિનાશ પારેખ બહાના કાઢતો રહ્યો. અંતે, અમિત ગુપ્તાએ બિલ્ડર સુધી પહોંચી તપાસ કરતા, તે ફલેટ પહેલેથી જ બીજાને વેચી નાખવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો. બાદમાં, અવિનાશ અને તેનો સાગરીત રાજેશ મહેતાએ એક નવી બિલ્ડિંગમાં ફલેટ આપવાની વાત કરી. બંને આરોપી હાલ ફરારફલેટ અને દસ્તાવેજોની સત્યતા બહાર આવતા, અમિત ગુપ્તાએ વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.આ કેસમાં મુખ્ય આરોપી અવિનાશ પારેખ અને તેના સાગરીત રાજેશ મહેતા પર IPC કલમો હેઠળ છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. હાલ બંને આરોપીઓ મોબાઇલ બંધ રાખીને ગુમ થઈ ગયા છે.પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે અને વેસુ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 9:20 pm

ગોધરામાં જાહેરમાં યુવકને ઢોર માર માર્યો:બામરોલી રોડ પર યુવકના માથામાં પથ્થર મારી અન્ય યુવકે રોડ પર ઢસડ્યો, વીડિયો વાયરલ

પંચમહાલના ગોધરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. બામરોલી રોડ પર એક યુવકની જાહેરમાં નિર્દયતાથી માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે એક યુવક બીજા યુવકને માથાના ભાગે પથ્થરથી હુમલો કરે છે. આ ઘટના દરમિયાન આરોપી યુવક પોલીસનો કોઈ ડર રાખ્યા વિના જાહેરમાં હિંસક વર્તન કરતો જોવા મળે છે. પ્રાથમિક તપાસમાં અંગત અદાવતના કારણે આ હુમલો થયો હોવાનું અનુમાન છે. ગોધરામાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિ દરમિયાન અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. થોડા સમય પહેલા જ પોલીસે તોફાની તત્વો સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી હતી. આ ઘટના બાદ પંચમહાલ પોલીસ પર આવા તત્વો સામે કડક પગલાં લેવાનું દબાણ વધ્યું છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 9:19 pm

વડોદરા ક્રાઈમ ન્યૂઝ:તરસાલી સુસેન રોડ પર આવેલી સોસાયટીના મંદિરમાં દાન પેટી તોડવાનો ચોરોનો પ્રયાસ

વડોદરાના તરસાલી-સુસેન રોડ પર આવેલી સોસાયટીના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તાળું તોડી તસ્કર મંદિરમાં પ્રવેશ્યા અને દાનપેટીને તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, દાન પેટી ન તૂટતા ચોરી થતા રહી ગઈ હતી. સવારે પૂજારી પૂજા કરવા માટે આવતા ચોરીનો પ્રયાસ થયો હોવાનું માલુમ પડ્યું હતું. જેની મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પૂજારી મંદિરે ગયા ને આગળનો દરવાજાનો લોક તૂટ્યો હતોવડોદરા શહેરના તરસાલી સુસેન રોડ પર આવેલી મોતીનગર-2 રહેતા ગુણવંતભાઇ વાલજીભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવી છે કે, ગત 2 માર્ચના રોજ અમારી સોસાયટીના નાકા પર આવેલા સાંઈબાબા મંદિરના પૂજારી ધાવીક પંડયા રાત્રીના સાડા આઠ વાગ્યાના સુમારે મંદિર બંધ કરી ઘરે ગયા હતા. ત્યારબાદ ત્રણ માર્ચના રોજ વહેલી સવારના છ વાગ્યાના સુમારે પૂજારી ધાવીક પંડયા પૂજા કરવા મંદિરે ગયા હતા, તે વખતે મંદિરમાં આગળનો દરવાજાનો લોક તૂટ્યો હતો. પૂજારીએ અમને ફોન કરી બોલાવતા અમે તરત જ સાઈબાબા મંદિરે દોડી ગયા હતા ત્યારે મંદિરમાં જઈને જોઈને તપાસ કરી હતી .અમારા સાંઈબાબાના મંદિર કે જે ધાર્મીક સ્થાન હોય તેમા કોઈ અજાણ્યા ચોર ઇસમે મંદિરના બહારના ભાગે આવેલા લાકડાના દરવાજાનો નકુચો તોડી એની પાછળ આવેલ લોખંડની ગ્રીલ જાળી તોડી મંદીરમા રાખેલી દાનપેટી ચોરી કરવાના ઇરાદે તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, દાનપેટી તુટેલ ન હોય જેથી ચોરી થતા રહી ગઈ હતી. જેથી મકરપુરા પોલીસે તેમની ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ગાડી પર બેઠેલા યુવક સાથે ઝઘડો કર્યા બાદ ચાકુથી હુમલોવડોદરાના કિશનવાડી વિસ્તારમાં રહેતો યુવક ગાડી પર બેઠો હતો. તે દરમિયાન એ શખસ તેની પાસે આવ્યો હતો અને ઝઘડો માર માર્યા બાદ તેના પર હુમલો કર્યો હતો. ત્યારબાદ આ શખસે જાનથી મારી નાખવાની ધમકી આપતા તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા જય અંબે ફળિયામાં રહેતા રાહુલભાઈ જયંતિભાઈ રાવળએ ફરીયાદ નોંધાવી છે કે, હું આઈસ્ક્રીમની દુકાનમાં નોકરી કરું છું. 32 માર્ચના રોજ જમી પરવારીને રાત્રીના અગિયાર વાગ્યાની આસપાસ ફળીયામાં ક્રીકેટ રમવા ગયા હતા અને મારો નાનો ભાઈ મિતેષભાઈ જયંતિભાઈ રાવળ ફળીયામાં પાછળ ગાડી ઉપર બેઠેલો હતો. ત્યારે અમારા ફળીયામાં રહેતો રાકેશ દિનેશ રાજપુત (રહે. મહાદેવ ચોક, ઝૂપડપટ્ટી, કિશનવાડી, વડોદરા ) મારા ભાઈ પાસે આવ્યો હતો અને મારા ભાઇને તુ અહી કેમ બેસેલ છે તેમ કહી ગમે તેમ ગાળો બોલી નાના ભાઈને એક લાફો મોઢા ઉપર મારી દીધો હતો. જે હું જોઇ જતા હું ક્રિકેટ રમતો રમતો દોડીને મારા ભાઈ પાસે ગયો હતો. તે વખત આ રાકેશભાઈ દિનેશભાઈ રાજપુત પાસે ચપ્પુ જેવુ હથીયાર હતુ. આ ચાકુથી મારા ભાઈ પર હુમલો કર્યો હતો. જેના કારણે મેં બૂમાબુમ કરવા લાગતા મારા ઘરેથી મારી માતા મીનાબેન તથા પિતા જયંતીભાઈ રાવળએ આવી મને તથા મારા ભાઈને વધુ મારથી છોડાવ્યો હતોઅને ત્યાર બાદ આ રાકેશભાઈ દિનેશભાઈ રાજપુત મને ગમે તેમ ગંદી બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેથી પોલીસે યુવકની ફરિયાદના આધારે રાકેશ રાજપુત વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. વેમાલીમાં યુવકનું મોતવેમાલી ભાગોળ ફળિયામાં રહેતા 33 વર્ષના સંજય કાંતિ રાઠોડિયા ગત રાત્રે 8.30 વાગ્યે પોતાના ઘરે બેહોશાલતમાં મળી આવ્યા હતા તેમને સારવાર માટે પરિવારજનો સયાજી હોસ્પિટલમાં લાવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જણાવ્યું હતું. કયા કારણસર મોત નીપજ્યું તે જાણવા મંજુસર પોલીસ પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 9:16 pm

રાજકોટના સમાચાર:રાજકોટ એઇમ્સ ખાતે સ્વચ્છતા પખવાડાની ઉજવણી શરૂ, 1થી 15 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે

રાજકોટની એઇમ્સ હોસ્પિટલમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા પખવાડા-2025ની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજે કાર્યક્રમની શરૂઆત હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ડાયરેકટર ડો.જી.ડી. પુરીના માર્ગદર્શન અને સંબોધન સાથે કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં એડમીન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર, એકેડેમિકસ વિભાગનાં ડીન તેમજ તમામ ફેકલ્ટી મેમ્બર અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ તકે એઇમ્સ એક્ઝિકયુટિવ ડાયરેક્ટર તેમજ ડીન અને વિદ્યાર્થીઓ દ્વારા હરિયાળા કેમ્પસમાં ખાસ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અને કેમ્પસ અને કેમ્પસ આસપાસ વિસ્તારમાં શ્રમદાન અભિયાન સાથે સ્વચ્છતા સંકલ્પ કાર્યક્રમ યોજાયો હતો. 24 એપ્રિલે યોજાશે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમરાજય સરકાર દ્વારા જિલ્લા કક્ષાનાં પ્રશ્નોના જિલ્લામાં નિરાકરણ મળી રહે તે માટે ફરિયાદ નિવારણ દિવસ”નું આયોજન કરવામા આવે છે. જે અંતર્ગત આગામી સ્વાગત કાર્યક્રમ તા. 24 એપ્રિલનાં રોજ યોજાનાર છે. આ કાર્યક્રમ માટેનાં જિલ્લા કક્ષાના પ્રશ્નો અને ફરિયાદો તા. 10 એપ્રિલ સુધીમાં સંબંધિત ખાતા–વિભાગોની જિલ્લા કક્ષાની કચેરીનાં વડાને પહોંચતા કરવાનાં રહેશે. આ માટેની અરજીમાં મથાળે જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ લખવાનું રહેશે. લાંબા સમયથી આખરી નિકાલ આવતો ન હોય તેવા પડતર પ્રશ્નો મોકલવા તથા અગાઉ સંબંધિત ખાતામાં કરેલ રજુઆતનો આધાર રજુ કરવો, તેમના તરફથી આપવામાં આવેલ જવાબ કે પ્રત્યુતરની ઝેરોક્ષ નકલ અરજી સાથે રાખવાની રહેશે. અગાઉ રજુ કરેલ પ્રશ્ન બીજી વખત રજુ કરવામાં આવે તો પ્રશ્નનો ક્રમાંક, માસનું નામ લખવું. પ્રશ્ન કે અરજીમાં પ્રશ્ન કર્તાનું પુરુ નામ, પુરેપુરુ સરનામું અને ફોન નંબર પણ લખવાનો રહેશે. અરજીમાં અરજદારની સહી હોવી જરૂરી છે. કોર્ટ મેટર, દાવાઓ, આક્ષેપો, અંગત રાગ-દ્વેષને લગતા પ્રશ્નો ધ્યાને લેવાશે નહીં. તાલુકા કક્ષાના પ્રશ્ન માટે સબંધિત મામલતદારને અરજી કરવાની રહેશે. 6 એપ્રિલે 'ધો- 10 પછી શું?' અંગે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશેરાજકોટમાં વ્યવસાયી વિદ્યા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ દ્વારા તા. 6 એપ્રિલના રોજ સવારે 9:30 કલાકે હેમુ ગઢવી હોલમાં 'ધોરણ 10 પછી શું?' વિષય પર કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે. જેમાં ઈજનેરી, આર્કિટેક્ચર અને ઈન્ટીરિયર ડિઝાઇન ક્ષેત્રે કારકિર્દી સંબંધિત માહિતી અને કોર્સની વિગત વિષે માર્ગદર્શન અપાશે. તેમજ નિષ્ણાતો સાથે ઈન્ટરેક્ટિવ પ્રશ્નોત્તરી થશે. જેનો લાભ વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા, શાળાના ટ્રસ્ટી, આચાર્ય તથા કાઉન્સેલર લઈ શકે છે. સેમિનારમાં ભાગ લેવા નોંધણી ઓનલાઈન કરવાની રહેશે. વધુ વિગત માટે મો.નં. 91577 16781 (એન્જિનિયરીંગ) અથવા 95104 37520 (આર્કિટેક્ચર અને ઇન્ટીરિયર ડીઝાઇન) પર સંપર્ક કરી શકાશે. સેમિનાર માટે ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુક્લ, હર્ષલભાઈ મણિયાર, ડો. સંજીવભાઈ ઓઝા, ડો. નરેન્દ્રભાઈ દવે અને ડો. નવિનભાઈ શેઠ જહેમત ઉઠાવી રહ્યાં છે. વિવિધ તાલુકાઓના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 એપ્રિલે યોજાશેરાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી 23 એપ્રિલે સંબંધિત તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાશે. તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંગેના પ્રશ્નો બે નકલમાં અરજદારોએ પોતાના લગત તાલુકાના મામલતદારને 10 એપ્રિલ સુધીમાં મોકલી આપવાના રહેશે. આ કાર્યક્રમમાં કર્મચારીઓની નોકરી અંગેના કોર્ટમાં કેસો ચાલુ હોય તે બાબતના, ન્યાયિક કે અર્ધન્યાયિક બાબતને લગતા પ્રશ્નો તેમજ અગાઉ રજૂ થયેલ પ્રશ્નોને ફરીથી રજૂ કરવાના રહેશે નહીં તેમજ પ્રથમ વખત અરજી કરતા હોય તેવા પ્રશ્ન રજૂ કરવા નહીં. અરજીના મથાળે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટેની અરજી એમ લખવાનું રહેશે જેમાં એક અરજીમાં એક જ પ્રશ્ન મોકલી શકાશે. અરજી બે નકલમાં જરૂરી પુરાવા સાથે મોકલી આપવાની રહેશે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 9:11 pm

યાત્રી કૃપયા ધ્યાન દે:ઉનાળુ વેકેશનને લઈ અસારવાથી આગરા કેન્ટ અને કાનપુર સેન્ટ્રલ વચ્ચે સ્પેશિયલ ટ્રેનો ચલાવશે

પશ્ચિમ રેલવે દ્વારા આગામી ઉનાળા વેકેશન દરમિયાન યાત્રીઓની વધારાની ભીડને જોતાં યાત્રીઓની માંગ અને સુવિધા માટે બે જોડી સ્પેશિયલ ટ્રેનો અસારવા-આગરા કેન્ટ દૈનિક સ્પેશિયલ અને અસારવા-કાનપુર સેન્ટ્રલ અઠવાડિક સ્પેશિયલ વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 01920 અસારવા-આગરા કેન્ટ સ્પેશિયલ 2 એપ્રિલ 2025 થી 1 જુલાઈ 2025 સુધી અસારવાથી દરરોજ 18.00 કલાકે ઉપડશે તથા બીજા દિવસે 10.20 કલાકે આગરા કેન્ટ પહોંચશે. ટ્રેન નંબર 01919 આગરા કેન્ટ-અસારવા સ્પેશિયલ 1 એપ્રિલથી 30 જૂન 2025 સુધી આગરા કેન્ટથી દરરોજ 23.00 કલાકે ઉપડશે તથા બીજા દિવસે 16.35 કલાકે અસારવા પહોંચશે. ટ્રેન બંને દિશાઓમાં આ ટ્રેન હિમ્મતનગર, ડુંગરપુર, જાવર, ઉદયપુર સિટી, માવલી, ચંદેરિયા, માંડલ ગઢ, બૂંદી, કેશોરાય પાટન, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના અને ફતેહપુર સીકરી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટિયર, એસી 3-ટિયર, સ્લીપર અને જનરલ કોચ હશે. જ્યારે ટ્રેન નંબર 01906 અસારવા-કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલ 8 એપ્રિલથી 1 જુલાઈ 2025 સુધી અસારવાથી દરેક મંગળવારે 9.15 કલાકે ઉપડશે તથા બીજા દિવસે 7.00 કલાકે કાનપુર સેન્ટ્રલ પહોંચશે. આ જ રીતે ટ્રેન નંબર 01905 કાનપુર સેન્ટ્રલ-અસારવા સ્પેશિયલ 7 એપ્રિલ 2025થી 30 જૂન 2025 સુધી કાનપુર સેન્ટ્રલથી દરેક સોમવારે 8.00 કલાકે ઉપડશે તથા બીજા દિવસે 5.45 કલાકે અસારવા પહોંચશે. ટ્રેન બંને દિશાઓમાં આ ટ્રેન હિમ્મતનગર, ડુંગરપુર, જાવર, ઉદયપુર સિટી, માવલી, ચંદેરિયા, માંડલ ગઢ, બૂંદી, કેશોરાય પાટન, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના અને ફતેહપુર સીકરી, ઈદગાહ, ટૂંડલા, ફિરોજાબાદ તથા ઈટાવા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટિયર, એસી 3-ટિયર, સ્લીપર અને જનરલ કોચ હશે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 9:06 pm

રાજકોટ યાર્ડની આવક છ વર્ષમાં ડબલ:સૌ પ્રથમવાર રૂ. 41.31 કરોડની આવક, ગતવર્ષ કરતા 13%નો વધારો નોંધાયો; 9.87 કરોડની બચત

રાજકોટ માર્કેટિંગ યાર્ડની ગત નાણાકીય વર્ષની આવકો જાહેર કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રનાં સૌથી મોટા ગણાતા રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા ઐતિહાસિક સિદ્ધિ હાંસિલ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધીમાં પ્રથમ વખત યાર્ડની આવક રૂ. 41.31 કરોડ થઈ હોવાનું સામે આવ્યું છે. 6 વર્ષ પહેલાં યાર્ડની આવક 21 કરોડ જેવી હતી. આમ માત્ર 6 વર્ષમાં આવકમાં બમણો વધારો નોંધાયો છે. એટલું જ નહીં ગતવર્ષની તુલનાએ પણ આવકમાં 13%નો વધારો થયો છે. કરકસર યુક્ત વહીવટ દ્વારા રૂ. 9.87 કરોડની બચત કરવામાં આવી છે. નાણાંકીય વર્ષ 2024-25 નું સરવૈયુ જાહેર કરતા માર્કેટ યાર્ડનાં ચેરમેન જયેશ બોઘરાએ જણાવ્યું કે, ચાલુ વર્ષે યાર્ડની આવક રૂ. 41.31 કરોડ પહોંચી છે. જે ગતવર્ષની સરખામણીએ 13 ટકાનો વધારો સૂચવે છે. કરકસરયુકત વહિવટ થકી રૂ.9.87 કરોડની બચત કરવામાં આવી છે. પોતે 2-12-2021થી ચેરમેનપદ સંભાળ્યુ ત્યારથી લઈ અત્યાર સુધીનાં કાર્યકાળમાં રૂ. 43 કરોડના વિકાસ કામો કર્યા છે અને ચાલુ વર્ષમાં રૂ. 16.8 કરોડના પ્રોજેકટ છે. એટલે કુલ 51 કરોડના કામો થશે. આ યાર્ડ સંભાળતી વખતે રૂ. 23 કરોડની આવક થતી હતી તે હાલ 41 હાલ કરોડથી વધુ થઈ છે. આ માટે કારણો દર્શાવતા તેમણે કહ્યું કે, નાણાંકીય વર્ષની શરૂઆતમાંથી સંભવિત આવક-ખર્ચ તથા વિકાસ કામોનાં લક્ષ્યાંક થકી કરી લેવાય છે. અને સતત મોનીટરીંગ દ્વારા તે પરિપૂર્ણ કરવામાં આવે છે. બેડી માર્કેટ યાર્ડ ખાતે વિકાસ કામો ઉપરાંત પોપટભાઈ સોરઠીયા માર્કેટ યાર્ડ (જુના માર્કેટ યાર્ડ)નુ રીનોવેશન પણ કરવામાં આવ્યું છે. જુના યાર્ડનાં તમામ મેઈનરોડમાં ટ્રાફિકનું ભારણ વધુ રહેતુ હોવાથી ત્યાં આરસીસી અને ડામરકામ કરાવાયું છે. આ ઉપરાંત વધારાના ટોઈલેટ બ્લોક બનાવીને સંચાલન ખાનગી એજન્સીને સોંપાયું છે. જેથી આ યાર્ડ સંકુલમાં સ્વચ્છતાનાં કડક ધોરણોનો અમલ થાય છે. આવનારા સમયમાં નવા યાર્ડ ખાતે ખેડૂતોનાં માલના રક્ષણ માટે નવા પ્લેટફોર્મ તેમજ જુના માર્કેટ યાર્ડમાં બાકી રહેલ પ્લેટફોર્મ નંબર 1 નું રીનોવેશન તેમજ શાકભાજી મેઈન રોડ પર આવેલા ડુંગળીના પ્લેટફોર્મનું રીનોવેશન હાથ ધરવામાં આવનાર છે. અનાજ વિભાગ અને શાકભાજી વિભાગમાં મારા દ્વારા સતત હાજરી આપીને ખેડૂતો, વેપારીઓ, કમીશન એજન્ટો તેમજ માર્કેટયાર્ડ સાથે સંકળાયેલા લોકોમાં વિશ્વાસનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે. માર્કેટયાર્ડમાં કામ કરતાં લાયસન્સદાર હમાલ,મજુર, તોલાટ વ્યક્તિઓના આકસ્મિક અવસાન બદલ રૂપિયા 50,000 સહાયની નવી યોજના ચાલુ કરવામાં આવી છે. સરકારની ખેડૂતોને લગતી ઓનલાઈન સેવાનો લાભ ખેડૂતોને મળી રહે તે હેતુથી માર્કેટયાર્ડમાં કિશાન સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. બજાર સમિતિ દ્વારા નહિ નફો અને નહી નુકશાનના ધોરણે બજાર સમિતિ રાજકોટની બ્રાન્ડનેમથી ઘઉં વેચાણ માટેનું રીટેઇલ કેન્દ્ર માર્કેટ યાર્ડમાં ખોલવામાં આવ્યું છે. રાજકોટનાં મુખ્ય યાર્ડ તેમજ સબયાર્ડમાં ડોર ટુ ડોર કચરો એકત્રિત કરી ધનિષ્ઠ સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તેમજ બજાર સમિતિના શાકભાજી યાર્ડમાંથી નીકળતા લીલા કચરાના નિકાલ માટે બાયોવેસ્ટ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. જેમાં લીલા કચરાનું પ્રોસેસિંગ કરી ઉત્પન્ન થતા ખાતરનું ખેડૂતોમાં રાહતદરે વિતરણ કરવામાં આવે છે. રાજકોટ માર્કેટયાર્ડમાં ખરીદ વેચાણ માટે અન્ય રાજ્યમાંથી આવતા વેપારીઓ માટે આરામગૃહની સગવડ કરવામાં આવી છે. માર્કેટયાર્ડમાં વોટર પ્યુરીફાઈ ટેકનીકથી વોટર પ્લાન્ટ ચાલુ કરવામાં આવ્યો છે. જેનાથી બજાર ભાવથી નીચાદરે ગોડાઉન/દુકાનો ધરાવતાં માલિકોને ડોર ટુ ડોર પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. માર્કેટયાર્ડમાં આવતા ખેડૂતો, કામ કરતાં વેપારીઓ, કમીશન એજન્ટભાઈઓ, મજુરો અને અન્ય લોકો માટે સમયાંતરે આરોગ્ય નિદાન કેન્દ્ર, મેડીકલ ચેક અપ જેવી સુવિધાઓ સરકારી તથા અન્ય સંસ્થાઓના સંકલનથી પૂરી પાડવામાં આવે છે. બજાર સમિતિ રાજકોટ દ્વારા સરકાર પાસે જમીનની માંગણી કરવામાં આવી છે. જે મંજુર થયે ત્યાં ખેડૂતોના માલના સ્ટોરેજ હેતુથી ગોડાઉન, દુકાનો અને પ્લેટફોર્મ બનાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 9:05 pm

રાજકોટમાં વધુ એક અકસ્માત સર્જાયો:પાંઉભાજીની લારી ચલાવતા યુવકનું પુરપાટ ઝડપે આવતી કારની ટક્કરે મોત નીપજ્યું, પરિવારે આધાર સ્તંભ ગુમાવતા ગમગીની છવાઈ

રાજકોટના કાલાવડ રોડ પર કોસ્મો પ્લેક્સ સિનેમા સામે આવેલી સરાજા હોટેલ પાસે પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે યુટર્ન લેતા બાઈકને ઠોકરે લેતા સોરઠીયા વાડી સર્કલ પાસે રાજ પાઉંભાજી નામની લારી ચલાવતા યુવકનું ગંભીર ઇજા થવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સરાજા હોટેલ પાસે બેકરીમાં પાઉં લેવા માટે જતા હતાનીલકંઠ ટોકીઝ પાસે મેહુલનગરમાં રહેતા અને સોરઠીયાવાડી સર્કલ પાસે રાજ પાઉંભાજી નામની રેંકડી રાખી વેપાર કરતા શૈલેષભાઇ હાસાનંદભાઈ બુલવાણી (ઉ.વ.44) નામના આધેડ ગત તા.30/3/2025ના સોરઠીયા વાડી સર્કલ ખાતે આવેલી પોતાની પાઉંભાજીની રેંકડીએથી રાત્રીના 11 વાગ્યે ત્યાં જ કામ કરતા મહિલા સોનલબેન રાઠોડને બાઇકમાં બેસાડી સરાજા હોટેલ પાસે બેકરીમાં પાઉં લેવા માટે જતા હતા. ત્યારે સરાજા હોટેલ સામે યુ ટર્ન લેતી વખતે જીજે.03.એઆર.9068 નંબરની પુરપાટ ઝડપે આવતા કારના ચાલકે બાઇકને ઠોકરે લેતા આધેડ અને મહિલા રોડ પર ફંગોળાયા હતા. સારવાર દરમિયાન શૈલેષભાઇનું મોત નીપજ્યુંઅકસ્માત સર્જાતા માણસો ભેગા થઇ ગયા હતા અને કોઈએ 108ને ફોન કરતા બંનેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની પરિવારને પણ જાણ થતા પરિવારજનો પણ હોસ્પિટલે પહોંચ્યા હતા. જેમાં ગઇકાલે રાત્રે ચાલુ સારવાર દરમિયાન શૈલેષભાઇનું મોત નીપજ્યું હતું. જ્યારે સાથે રહેલા સોનલબેનને સામાન્ય ઇજા થતા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. કાર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથબનાવ અંગે હોસ્પિટલ સ્ટાફ દ્વારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે મૃતકના ભત્રીજા રાહુલભાઈ રમેશભાઈ બુલવાણીની ફરિયાદ પરથી કાર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. આધેડના મૃત્યુથી ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતાં સિંધી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 9:03 pm

બિલ્ડીંગને ખાલી કરાવી દેવા સૂચના:AMC દ્વારા એક જ ધર્મના સ્મશાન બનાવવા મામલે કરાયેલી કોર્ટમાં અરજીમાં અરજદારને દંડ ફટકારાયો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુદ્ધ વિવિધ ગુજરાત હાઇકોર્ટ અને સીટી સિવિલ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે પૈકી કોર્ટ દ્વારા કેટલાક કેસોમાં અરજદારને દંડ ફટકાર્યો છે. શહેરમાં માત્ર એક જ ધર્મના સ્મશાન પાછળ પ્રિન્સિપલ કોર્પોરેશન દ્વારા થતાં ખર્ચ સામે વાંધો રજૂ કરતી જાહેર હિતની અરજી અગાઉ હાઇકોર્ટમાં અરજદાર દ્વારા કરવામાં આવી હતી. જેના 10 હજારનો દંડ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી આ જ પિટિશનને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. મ્યુનિસિપલ કોર્પોરેશને હાઇકોર્ટનું ધ્યાન દોરતાં અરજદારને દંડ કર્યોલીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં રહેતા વિવિધ ધર્મના નાગરીકોના અંતિમ સંસ્કારની જગ્યા નિયત કરવાની કામગીરી કરવાની હોય છે. જોકે, કોર્પોરેશન દ્વારા માત્ર ચોક્કસ ધર્મના લોકો માટે જ આ પ્રકારનો ખર્ચ થઇ રહ્યો હોવાની દાદ માગતી પિટિશન અરજદાર દ્વારા અગાઉ કર્યા બાદ તેમણે આ પિટીશન પરત ખેંચવામાં આવી હતી. જોકે, બાદમાં કોઇ નવા ગ્રાઉન્ડ પર પિટિશન દાખલ કરવાને બદલે ફરીથી આ પિટિશન દાખલ કરી હતી. આ પ્રકારની અરજી ફરીથી કરતા મ્યુનિસિપલ કોર્પોરેશને હાઇકોર્ટનું ધ્યાન દોરતાં અરજદારને હાઇકોર્ટે રૂ. 10 હજારનો દંડ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે અગાઉ પણ અરજદારને આ રીતે દંડ ફટકાર્યોઆ મામલે અરજદારે સુપ્રીમ કોર્ટ સમક્ષ ફરીથી પિટિશન દાખલ કરી હતી. જે કેસમાં સુપ્રીમ કોર્ટે રૂ. 10 હજારનો દંડ માફ કરવાનો આદેશ આપ્યો હતો ત્યારે બીજી તરફ આ પિટિશનને પણ નકારી કાઢી હતી. વધુમાં પ્રકાશ ગુર્જરે જણાવ્યું હતું કે, શહેરના થલતેજ વિસ્તારમાં કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા બાબતે કરવામાં હુકમ સામે વર્ષ 2017માં પીટીશનર દ્વારા કરવામાં આવેલી અરજીમાં કોર્ટ દ્વારા 2 લાખનો દંડ કરવામાં આવ્યો હતો, જેમાં સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ ટુ અપીલ દાખલ કરવામાં આવી હતી, જેમાં પણ સુપ્રીમ કોર્ટે એક લાખ રૂપિયા દંડ જમા કરાવવા માટે કહ્યું હતું. બિલ્ડિંગને તાત્કાલિક ધોરણે ખાલી કરાવી તોડી પાડવાની સૂચના અપાઈશહેરના જમાલપુર વિસ્તારમાં આવેલી સના 7 નામની બિલ્ડીંગને ખાલી કરાવી અને પોલીસ બંદોબસ્ત સાથે તોડવા જણાવ્યું છે. આજે મળેલી લીગલ કમિટીમાં તેની સૂચના આપવામાં આવી હતી. પાંચ વખત પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો છે. કોર્ટમાં પિટિશન દાખલ કરાઈ છે પરંતુ, તેમાં કોઈ કાર્યવાહી થઈ નથી અને કોઈ ઓર્ડર નથી ત્યારે આ બિલ્ડીંગના પાણી અને ડ્રેનેજ કનેક્શન કાપવાની સૂચના આપી છે. ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ આ બિલ્ડીંગમાં રહીશોને રહેવું જોખમકારક હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે આ બિલ્ડિંગને તાત્કાલિક ધોરણે ખાલી કરાવી અને પોલીસ બંદોબસ્ત સાથે તોડી પાડવાની સૂચના આપી છે. ગેરકાયદેસર બિલ્ડીંગને લઈને હાઇકોર્ટમાં અરજી કરાઈ હતીદાણીલીમડા વિસ્તારમાં આવેલા અંકુર ટાવરમાં 18 મકાન અને ત્રણ દુકાન બનાવવામાં આવી હતી. ગેરકાયદેસર બિલ્ડીંગને લઈને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જોકે, આ ગેરકાયદેસર હોવાને લઈને અરજદારો દ્વારા જાતે તોડી પાડવા માટે હાઇકોર્ટમાં એફિડેવિટ કરવામાં આવી હતી. જોકે, સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ છતાં પણ બાંધકામ દૂર ન કરવામાં આવતા લીગલ કમિટી દ્વારા ત્યારે હવે 7 દિવસમાં પાણી ડ્રેનેજના કનેક્શનનો કાપી અને તોડી દેવા જણાવવામાં આવ્યું છે. જો હવે તોડી ન પાડે તો હાઇકોર્ટમાં અરજદારો દ્વારા સામેથી તોડી પાડવા મામલે કન્ટેમપ્ટ દાખલ કરવા પણ જણાવ્યું છે. સાબરમતી ગાંધી આશ્રમના રી-ડેવલોપમેન્ટમાં વિસ્થાપિતોને લઈને ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધી દ્વારા 2021માં ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જાહેર હિતની રિટ કરી એવી રજૂઆત કરી હતી કે, રાજ્ય સરકાર દ્વારા 1200 કરોડ ખર્ચીને ગાંધી આશ્રમને ડેવલોપ કરવા માગે છે પરંતુ, ગાંધીજી દ્વારા સ્થાપવામાં આવેલા ટ્રસ્ટને અહિથી દૂર કરવામાં આવે તો ગાંધીજીના મુલ્યોનું જતન કરતાં ટ્રસ્ટને વ્યાપક નુકશાન થશે. વધુમાં ગાંધીજીની વિચારધારાને પણ નુકશાન થશે. કેટલાક ટ્રસ્ટ તો ગ્રામ્ય વિસ્તારમાં પણ ગાંધીજીના વિચારધારા સાથે નાગરિકોના ઉત્થાનની કામગીરી કરી રહ્યા છે. આ સમગ્ર કેસમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, આ માટે કોઇપણ પક્ષને રજૂઆત કરવી હોય તો તેના માટે કાઉન્સિલ કે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના કરાઇ છે. જેમાં ટ્રસ્ટ દ્વારા તેમની સમક્ષ રજૂઆત થઇ શકે છે અને તે દિશામાં યોગ્ય નિર્ણય લઇ શકાય છે. જોકે, સરકારના જાહેરનામામાં સ્પષ્ટ છે કે, ગાંધી આશ્રમ કે સાબરમતી આશ્રમની મૂળ વિચારધારા અને તેના મૂલ્યોનું યોગ્ય રીતે જતન થાય તે રીતે જ આશ્રમ વિકાસની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. આજે દુનિયામાં આ સ્થળ પ્રેરણા સ્ત્રોત છે ત્યારે આ વિકાસ પછી તેના નામના વધુ ઉંચે જશે. જે તમામ રજૂઆત ધ્યાને લઇ હાઇકોર્ટે આ પીટીશન નવેમ્બર 2021માં ફગાવી દેવાઇ હતી. જે બાદ તુષાર ગાંધી દ્વારા ગત 7મી મે 2025ના રોજ સુપ્રીમ કોર્ટ સમક્ષ હાઇકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો. 4 વર્ષ બાદ આ પિટિશન કેમ કરવામાં આવી અને પિટિશન દાખલ કરવામાં આટલો વિલંભ કેમ કરાયો તે બાબતે કોઇ સ્પષ્ટતા નહી થઇ શકતાં આખરે સુપ્રીમ કોર્ટે પિટિશનને આ સ્ટેજ પર જ નકારી દીધી છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 8:57 pm

મોરબી મહાનગરપાલિકાનો નવો રેકોર્ડ:માત્ર 3 મહિનામાં 12 કરોડની વેરા વસૂલાત, કુલ આવક 23.04 કરોડ સુધી પહોંચી

મોરબી મહાપાલિકાએ વેરા વસૂલાતમાં નવો કીર્તિમાન સ્થાપ્યો છે. મહાપાલિકા બન્યા બાદ માત્ર ત્રણ મહિનામાં જ 12.01 કરોડની રેકોર્ડ વસૂલાત કરી છે. મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે અગાઉ પાલિકા તરીકે સૌથી વધુ 14.81 કરોડની આવક થઈ હતી. જોકે, ચાલુ વર્ષે મહાપાલિકાના ડેપ્યુટી કમિશ્નર અને ટેક્સ શાખાની ટીમની ઉત્કૃષ્ટ કામગીરીથી કુલ 23.04 કરોડની વસૂલાત થઈ છે. મહત્વપૂર્ણ છે કે મોરબી પાલિકાએ 1 એપ્રિલ 2024થી 31 ડિસેમ્બર 2024 સુધીમાં 11.03 કરોડની વેરા વસૂલાત કરી હતી. મહાપાલિકા બન્યા બાદ 1 જાન્યુઆરી 2025થી 31 માર્ચ 2025 સુધીના માત્ર ત્રણ મહિનામાં 12.01 કરોડની વસૂલાત કરી છે. આ રીતે કુલ આવક 23.04 કરોડ સુધી પહોંચી છે. કમિશનર ખરેએ જણાવ્યું કે આવી જ સફળ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે. નવ મહિનામાં થયેલી વસૂલાત કરતાં માત્ર ત્રણ મહિનામાં વધુ વસૂલાત કરવામાં આવી છે, જે મહાપાલિકા માટે મોટી સિદ્ધિ છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 8:44 pm

વલસાડમાં આત્મહત્યાનો પ્રયાસ કરતા આધેડનો જીવ બચ્યો:સોશિયલ મીડિયા પર આત્મહત્યાની પોસ્ટ જોઈ પોલીસ એક્શનમાં, હાલાર તળાવ પાસેથી બચાવ્યા

વલસાડમાં પોલીસની સતર્કતાને કારણે એક 50 વર્ષીય આધેડનો જીવ બચી ગયો છે. સુર્યકિરણ સોસાયટી હાલારમાં રહેતા કમલકુમાર દેસાઈએ સોશિયલ મીડિયા પર આત્મહત્યા કરવાની પોસ્ટ મૂકી હતી. 30 માર્ચ 2025ની રાત્રે 10 વાગ્યાના સુમારે તેઓ ઘરેથી નીકળ્યા હતા. તેમણે રેલ્વે સ્ટેશન જઈને સેલ્ફી લઈ આત્મહત્યા કરવાની વાત સોશિયલ મીડિયા પર શેર કરી હતી. પરિવારજનોએ આ અંગે તરત જ વલસાડ સીટી પોલીસ સ્ટેશનના PI દિનેશ પરમારનો સંપર્ક કર્યો. SP ડો.કરનરાજ વાઘેલા અને DySP એ.કે.વર્માના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા મિશન 'મિલાપ' અંતર્ગત પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી. PSI ડી.એસ.પટેલ અને સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી. નેત્રમના CCTV કેમેરા, ટેક્નિકલ સર્વેલન્સ અને માનવ સ્ત્રોતોની મદદથી પોલીસને જાણવા મળ્યું કે કમલકુમાર હાલાર તળાવ તરફ ગયા છે. પોલીસે સમયસર પહોંચીને તેમને આત્મહત્યા કરતા અટકાવ્યા. કાઉન્સેલિંગ બાદ પોલીસે કમલકુમારનું તેમના પરિવાર સાથે પુનર્મિલન કરાવ્યું. આમ, વલસાડ સીટી પોલીસની સૂઝબૂઝ અને ત્વરિત કાર્યવાહીને કારણે એક વ્યક્તિનો જીવ બચી શક્યો.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 8:42 pm

મચ્છુ-2 ડેમના 33 દરવાજા 36 વર્ષ બાદ બદલાશે:2 એપ્રિલથી ડેમ ખાલી કરવામાં આવશે, મોરબી-માળીયાના 29 ગામોને એલર્ટ કરાયા

મોરબીનો મહાકાય મચ્છુ ડેમ 1979 માં તૂટ્યો હતો અને ત્યારબાદ તેને ફરીથી બાંધવામાં આવ્યો અને દરવાજા ફીટ કરવામાં આવ્યા હતા અને જો કે, 1989 થી આ ડેમની અંદર પાણીનો જથ્થો સંગ્રહિત કરવામાં આવી રહ્યો છે અને ડેમના દરવાજાનું આયુષ્ય પૂરું થઈ ગયું હોવાના કારણે તે દરવાજા બદલવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ગત વર્ષે આ ડેમના 38 પૈકીના 5 દરવાજાને બદલવામાં આવ્યા હતા અને આ વર્ષે 33 દરવાજાઓને બદલવા માટે તેને કામગીરી સિંચાઈ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. જેથી ડેમને ખાલી કરવા માટેનું કામ આવતીકાલ 2 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. 1979માં મોરબી હોનારત બાદ મચ્છુ-2 ડેમ ફરીથી બાંધવામાં આવ્યો હતોમોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમ મોરબી અને માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન છે. કેમકે આ ડેમ ચોમાસામાં 100 ટકા ભરાઈ જાય ત્યારબાદ આ બંને તાલુકામાં પીવાના પાણી તથા સિંચાઈના પાણી માટેનો પ્રશ્ન એક વર્ષ માટે ઉકેલાઈ જતો હોય છે. 1979માં મોરબી જળ હોનારતની ઘટના બની હતી અને ત્યારે મોરબીનો મચ્છુ ડેમ તૂટ્યો હતો જેથી કરીને મોટા પ્રમાણમાં જાન માલને નુકસાન થયું હતું. ત્યારબાદ મોરબી નજીકનો મચ્છુ-2 ડેમ ફરીથી બાંધવામાં આવ્યો હતો. ત્યારે જૂના 20 દરવાજા હતા, તેમાં 18 દરવાજાનો વધારો કરવામાં આવ્યો હતો જેથી હાલમાં આ ડેમના કુલ મળીને 38 દરવાજા છે. 33 દરવાજા 36 વર્ષ જૂના, આયુષ્ય પૂરું થઇ ગયુમોરબી સિંચાઈ વિભાગના અધિકારી ભવિનભાઇ પનારા પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મચ્છુ-2 ડેમની કુલ જળ ક્ષમતા 3104 એમસીએફટી જેટલી છે જોકે આજની તારીખે ડેમની અંદર 939 એમસીએફટી જેટલો જળ જથ્થો ભરાયેલ છે. આ ડેમનું કમ્પ્લીશન સર્ટિફિકેટ 1989માં મળ્યું હતું ત્યારથી આજ સુધી ડેમના દરવાજા બદલવામાં આવ્યા ન હતા. આ દરવાજાને હવે 36 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો છે જેથી કરીને તેનું આયુષ્ય પૂર્ણ થયેલું હોવાથી ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન બને તે માટે સરકાર દ્વારા મચ્છુ-2 ડેમના દરવાજા બદલવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. વર્ષ 2024માં આ ડેમના 38 પૈકીના 5 દરવાજાને બદલવામાં આવ્યા હતા અને હવે બાકીના 33 દરવાજા આ વર્ષે બદલવામાં આવશે. બે દિવસના સમયગાળામાં ડેમમાં પાણી ઓછું કરાશેવધુમાં મળતી વિગત પ્રમાણે તા. 2/4/2025 ના રોજ બપોરે 4:00 વાગ્યે મચ્છુ-2 ડેમના 2 દરવાજાને ખોલવામાં આવશે અને ત્યારબાદ મચ્છુ નદીમાં 1300 કયુસેક જેટલો પાણીનો પ્રવાહ છોડવામાં આવશે અને ત્યારબાદ ક્રમશઃ તેમાં વધારો કરીને 3500 કયુસેક સુધી પાણી નદીમાં છોડવામાં આવશે અને બે જ દિવસના સમયગાળામાં જે લેવલ સુધી ડેમમાં પાણી ઓછું કરવાનું છે તે કરી નાખવામાં આવશે અને ડેમના 33 દરવાજા બદલવા માટેની કામગીરી શરૂ કરવામાં આવશે. જો કે, 33 પૈકીનાં 18 દરવાજા પહેલા બદલવામાં આવશે ત્યાર બાદ બાકીના 15 દરવાજા બદલી નાખવામાં આવશે. આમ આગામી તા 1/6/2025 સુધીમાં મચ્છુ-2 ડેમના બાકીના 33 દરવાજાને બદલી નાખવામાં આવશે. જેથી ચોમાસામાં આ ડેમ ભરવાનું શરૂ થઈ જશે. મોરબી અને માળીયા તાલુકાનાં 29 ગામોને એલર્ટ કરાયામોરબીમાં મચ્છુ-2 ડેમના દરવાજા ખોલીને પાણી નદીમાં છોડવામાં આવનાર છે જેથી કરીને નદીના પટમાં રહેતા લોકોને દૂર કરવા માટેની કામગીરી મહાપાલિકા દ્વારા કરવામાં આવી હતી અને નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે કોઈ દુર્ઘટના ન બને તે માટે થઈને મોરબી અને માળીયા તાલુકાનાં ગામોને એલર્ટ કરવામાં આવેલ છે અને જે ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તેમાં મોરબીના જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અને અમરનગર તથા માળીયા તાલુકાના વીરવદરકા, દેરાળા, નવાગામ, મેધપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, માળિયા (મી) નો સમાવેશ થાય છે. મોરબી મહાનગરપાલિકા અને પાણી પુરવઠા બોર્ડે પાણી પમ્પીંગ કરીને ખેંચવું પડશેમોરબીના મચ્છુ-2 ડેમમાંથી મોરબી શહેર તથા મોરબી અને માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને પીવા માટેનું પાણી પૂરું પાડવામાં આવે છે. જેના માટે મોરબી મહાનગરપાલિકા તથા પાણી પુરવઠા બોર્ડ દ્વારા મચ્છુ-2 ડેમમાંથી પાણી ઉપાડવામાં આવતું હોય છે જોકે અત્યાર સુધી ડેમમાં જળ જથ્થો પૂરતા પ્રમાણમાં હોવાના કારણે ગ્રેવિટીથી પાણી તે બંને સંસ્થાને મળી જતું હતું પરંતુ ડેમના દરવાજા ખોલીને પાણી નદીમાં છોડવામાં આવશે પછી મચ્છુ-2 ડેમમાં પાણીનું લેવલ નીચું જશે જેથી મોરબી શહેર તથા મોરબી અને માળિયા તાલુકા વિસ્તારને પીવાનું પાણી પહોંચાડવા માટે થઈને બંને સંસ્થાઓને પમ્પિંગ કરીને મોરબીના મચ્છુ-2 ડેમમાંથી પાણી ઉપાડીને લોકોના ઘર સુધી પહોંચાડવું પડશે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 8:31 pm

સંજાણની 18 વર્ષીય યુવતી ગુમ:મોડે સુધી સૂવા બાબતે પિતાના ઠપકાથી નારાજ થઈ શિફા ઘરેથી નીકળી ગઈ, પોલીસ ફરિયાદ

સંજાણ બંદરના લાંબા ફળિયામાં રહેતા સમીર અહમદ સુલેમાનની દીકરી શિફા ગુમ થવાની ઘટના સામે આવી છે. 29 માર્ચના રોજ પિતાએ મોડે સુધી ઊંઘવાની આદત અંગે ઠપકો આપ્યો હતો. આ વાત શિફાને ખોટી લાગતા તે કોઈને કંઈ કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી. પરિવારજનોએ શિફાની શોધખોળ શરૂ કરી હતી. સ્થાનિક યુવકો અને અગ્રણીઓની મદદથી ઉમરગામ તાલુકા અને વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં તપાસ કરી હતી. શિફાના મિત્રો અને સગા-સંબંધીઓના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી. શિફા ક્યાંય ન મળતા પરિવારજનોએ ઉમરગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. શિફા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા જાણે છે. પોલીસે જાહેર કર્યું છે કે જો કોઈને શિફા વિશે માહિતી મળે તો તરત જ ઉમરગામ પોલીસ મથકે જાણ કરવી.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 8:28 pm

હાઈકોર્ટે તાંત્રિકની આજીવન કારાવાસની સજા યથાવત્ રાખી:ગરબા જોવાના બહાને તાંત્રિક બંને સગીરાઓને લઈ ગયો, દુષ્કર્મ આચરી ધમકી આપી; અમદાવાદ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

શહેરના અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2009માં આરોપી હુરે અલી સઇદ જમાલી વિરૂદ્ધ રેપ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેને વર્ષ 2013માં ટ્રાયલ કોર્ટે રેપ સહિતના ગુનામાં દોષિત ઠરાવી આજીવન કેદની સજા ફટકારી હતી. જેની સામે તેણે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. હાઇકોર્ટે આ અપીલ રદ કરતાં ચુકાદામાં ઠરાવ્યું હતું કે, ફરિયાદી પક્ષ પોતાનો કેસ પુરવાર કરી શક્યું છે અને એનાથી કોર્ટ સંતુષ્ટ છે. કેસમાં સામે આવેલા તમામ પુરાવા અને રેકોર્ડ દર્શાવે છે કે, આરોપીએ પીડિત છોકરીઓના કુટુંબને પોતે તાંત્રિક હોવાનું જણાવી પોતાના વશમાં કરી રાખ્યા હતા. ત્યાર બાદ તેણે દરેક ખોટાં કામો આયોજનબદ્ધ રીતે કર્યા હતા. ટ્રાયલ કોર્ટના તમામ તારણો આરોપીને દોષિત ઠરાવે છે અને એમાં હાઇકોર્ટને હસ્તક્ષેપ કરવાનું ઉચિત જણાતું નથી. હાઇકોર્ટે નોંધ્યું હતું કે, પીડિત છોકરીઓ તેના મામાના ઘરે ગઇ હતી અને ત્યાં માતા સાથે થોડાક સમય માટે રહી હતી. ત્યારે આરોપી ત્યાં ગયો હોવાથી છોકરીઓ તેને નામ અને ચહેરાથી ઓળખતી હતી. આરોપીઓએ છોકરીઓ સાથે ઘરોબો વધાર્યો હતો અને જ્યારે તેઓ ગરબા જોવા જઇ રહી હતી ત્યારે તે તેમને રસ્તામાં મળી ગયો હતો. તેણે કહ્યું હતું કે તે તેમને વધુ સારા સ્થળે ગરબા જોવા લઇ જશે. પીડિત છોકરીઓ તેની સાથે ઘરનો સબંધ હોવાથી જવા માટે રાજી થઇ ગઇ હતી. પરંતુ ત્યાર બાદ જે કંઇ થયું એ સગીરાઓ માટે ચોંકાવનારું હતું. આરોપી તેમને પોતાના ઘરે લઇ ગયો હતો. તેમને કેફી પીણું પીવડાવ્યું હતું અને ત્યાર બાદ તેમની સાથે દુષ્કર્મ આચર્યું હતું. છોકરીઓને તાંત્રિકે ધમકી આપી હતી કે, જો કોઇને કહેશે તો કુટુંબના સભ્યોની હત્યા કરી નાંખશે. બંને છોકરીઓ હતપ્રભ થઇ ગઇ હતી અને ગભરાઇ ગઇ હતી. આખરે હાઇકોર્ટે આરોપીની અપીલ ફગાવી કાઢી હતી અને એની આજીવન કેદની સજાને બહાલ રાખવાનો હુકમ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 8:25 pm

વડોદરા કાસમઆલા ગેંગ ગુજસીટોક કેસ:આરોપી અકબર કાદરમિયા સુન્નીની જમીન અરજી વડોદરા કોર્ટે ફગાવી દીધી, ગેંગના 9 આરોપીઓ હાલ જેલમાં

વડોદરામાં ગુનાઓ આચરતી કાસમઆલા ગેંગ પર ગુજસીટોકનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાંથી 2008માં એક્ટિવ થયેલી આ ગેંગના સાગરિતો 17 વર્ષમાં 216 ગુના આચરી ચૂક્યા હતા. આ ગેંગના આરોપી અકબર કાદરમિયા સુન્નીએ વડોદરા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મૂકી હતી. જોકે, કોર્ટ એ તેની જામીન અરજી નામંજૂર કરી છે. આ ગેંગના 9 આરોપીઓ હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. કાસમઆલા ગેંગ દારૂ અને જુગારની પ્રવૃતિ ચલાવે છે અને વેપારીઓને ધાકધમકી આપીને ખંડણી ઉઘરાવે છે. કોઇ ખંડણી ન આપે તે જાનથી મારી નાખવાની ધમકી આપે છે. ખાસ કરીને કારેલીબાગ વિસ્તારમાં આ ગેંગનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે અને લોકો ગેંગથી તોબા પોકારી ગયા છે. આ ગેંગ સામે વડોદરા શહેરના મોટાભાગના પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા છે. આ આરોપીઓ સતત ફોનથી સંપર્કમાં રહેતા હતા અને તમામ ગુનાઓમાં એકબીજા સાથે સંકળાયેલા હતા. કાસમઆલા કબ્રસ્તાન વિસ્તારમાં રહેતા હોવાથી ગેંગનું નામ કાસમઆલા પડ્યું હતું. વડોદરા શહેરમાં કાસમઆલા ગેંગ નામથી ઓર્ગેનાઈઝ ક્રાઈમ સિન્ડિકેટ ચાલતી હતી, જેમાં કુલ 9 સભ્ય હતા, જેમાંથી હુસૈન કાદરમિયાં સુન્ની, અકબર કાદરમિયાં સુન્ની અને મહંમદઅલીમ સલીમ પઠાણ સામે રિવોલ્વર બતાવીને ગેરકાયદે નાણાં પડાવવાનો ગુનો દાખલ થયો હતો. પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે, કાસમઆલા ગેંગ રિવોલ્વર સાથે રાખીને ખંડણી ઉઘરાવતી હતી અને જેની-જેની પાસેથી ખંડણી ઊઘરાવે તેની નોંધ પણ એક ડાયરીમાં રાખતી હતી. ગેંગના સભ્યોએ આ લાલ ડાયરી સૌરાષ્ટ્રના એક ગામમાં છુપાવી હતી. આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, તેમણે તેના જ એક સંબંધીના ઘરમાં અનાજના પીપડામાં લાલ ડાયરી છુપાવી છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 8:21 pm

દુકાનદારે ઉધાર ન આપતાં રત્નકલાકારનો એસિડ એટેક:બાકીમાં સિગરેટ આપવાની ના પાડતા આરોપીએ રોષે ભરાઈને એસિડ ફેંક્યું, પીડિતનો માથા અને મોઢાનો ભાગ દાઝ્યો; આરોપીની ધરપકડ

સુરતમાં સામાન્ય બાબતમાં એસિડ એટેકની ઘટના બની હોવાનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કાપોદ્રા વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવતા દુકાનદારે ઉધારમાં સિગરેટ આપવાની ના કહેતા રત્નકલાકાર દ્વારા દુકાનદાર પર એસિડ ભરેલી બોટલ ફેકવામાં આવી હતી, જેના કારણે દુકાનદાર દાઝી ગયો હતો. આ ઘટના અંગે જાણ થતા કાપોદ્રા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપી યુવકને ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉધારમાં સિગરેટ માંગતા દુકાનદારે આપવાની ના કહી મળતી માહિતી પ્રમાણે, કાપોદ્રા વિસ્તારમાં સત્યનારાયણનગર સોસાયટી ખાતે શીવશક્તિ શેરી પાસે રામપ્યારે રામસ્નેહી કુશવાહ પંડીત પાન સેન્ટર નામથી પાનનો ગલ્લો ચલાવે છે. ગત રોજ 31 માર્ચના રોજ રાત્રે આરોપી રત્નકલાકાર રાકેશ બાબુભાઇ બારૈયા ગલ્લે આવી રામપ્યારે પાસે ઉધારમાં સિગરેટ માંગતા દુકાનદારે આપવાની ના કહી હતી. ત્યારબાદ થોડી વારમાં એક બોટલમાં એસીડ જેવુ પ્રવાહી લાવી બિભત્સ ગાળો આપી દુકાનદાર કઇ સમજે તે પહેલા રાકેશ એસિડ જેવુ પ્રવાહી દુકાનદારના મોઢા અને માથા ઉપર ફેંક્યું હતું. પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરીએસિડ ફેંકવાના કારણે દુકાનદારની ડાબી બાજુના ગાલ ઉપર માથામાં અને ડાબા હાથના બાવડાના ભાગે દાઝી જતા ઇજા થઈ હતી. ત્યારબાદ આરોપી રાકેશ ભાગી ગયો હતો. દુકાનદારે પ્રાથમિક સારવાર લીધા બાદ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આ મામલે રાકેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કાપોદ્રા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપી રાકેશ ઉર્ફે ઠંડી બાબુભાઇ બારૈયા (ઉ.વ. 37 ધંધો. હિરા મજુરી રહેવાસી, મકાન નં- 248 સત્યનારાયણ સોસાયટી મુરઘા કેન્દ્ર કાપોદ્રા સુરત મુળ વતન-રાજપરા તા. જેસર જી. ભાવગનર)ની ધરપકડ કરી હતી. સિગરેટ આપવાની ના કહેતા ઉશ્કેરાઈ જઈ આ પગલું ભર્યું હોવાનું આરોપી રત્નકલાકાર રાકેશે કબૂલાત આપી હતી. હાલ તો કાપોદ્રા પોલીસ દ્વારા આરોપી રાકેશ વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ આરોપી રાકેશ સામે મહીધરપુરા, પુણા, સરથાણા, કાપોદ્રા અને વલસાડમાં ગુનો નોંધાયેલો છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 8:15 pm

આવતીકાલથી JEE મેઇનની પરીક્ષા:સવારે 9થી 12 અને બપોર 3થી 6 વાગ્યા સુધી પરીક્ષા યોજાશે

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા એન્જિનિયરિંગ ક્ષેત્ર માટેની પ્રવેશ પરીક્ષા JEE મેઈન 2025 સેશન-2 આવતીકાલથી એપ્રિલથી શરૂ થશે. આ પરીક્ષા 9 એપ્રિલ 2025 સુધી ચાલશે, જેમાં લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ પરીક્ષા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. JEEની પરીક્ષા સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી યોજાશે. જ્યારે બપોરે 3થી સાંજે 6 વાગ્યા સુધી પરીક્ષા યોજાશે. પરીક્ષાના ઓછામાં ઓછા 1 કલાક પહેલાં પહોંચવું ફરજિયાત રહેશે. ગેટ બંધ થયા પછી કોઈને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં. કેન્દ્રમાં પ્રવેશ માટે એડમિટ કાર્ડ અને આધાર કાર્ડ જરૂરી રહેશે. પરીક્ષા ખંડમાં વિધાર્થીઓને પેન/પેન્સિલ અને રફ શીટ આપવામાં આવશે જેના પર નામ અને રોલ નંબર લખવો જરૂરી રહેશે. પરીક્ષા પૂર્ણ થયા પછી આ શીટ પરત કરવાની રહેશે. પરીક્ષામાં દરેક ખોટા જવાબ માટે 1 ગુણ કાપવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 8:11 pm

16 વર્ષની સગીરાને ગર્ભપાતની હાઇકોર્ટની મંજૂરી:દુષ્કર્મ પીડિતા નર્મદાની સગીરાને 12 અઠવાડિયાનો ગર્ભ

ચાલુ વર્ષે નર્મદા જિલ્લાના એક પોલીસ મથકે એક આરોપી સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. આ ગુના અંતર્ગત ભોગ બનનાર સગીરા ગર્ભવતી બની હતી. જેની માતા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં સગીરાના ગર્ભપાત માટે અરજી દાખલ કરવામાં આવી હતી. સગીરા 16 વર્ષની ઉંમરની છે અને તેને 12 અઠવાડિયાનો ગર્ભ છે. ગુજરાત હાઇકોર્ટે સગીરાના મેડિકલ પરીક્ષણ માટે સિવિલ હોસ્પિટલ, નર્મદાને તપાસના નિર્દેશ આપ્યા હતા. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગુજરાત હાઇકોર્ટે સગીરાને ગર્ભપાતની મંજૂરી આપી હતી. હાઇકોર્ટે પોતાના આ દેશમાં નોંધ્યું હતું કે, સગીરાના ગર્ભપાત માટે એક્સપર્ટ ડોક્ટરોની ટીમ અમે બાળકોના ડોક્ટર હોસ્પિટલમાં હાજર રહે. ઓપરેશન પછીની જ પણ સારવાર પણ તેને આપવાની રહેશે. તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉપાડશે. આરોપી સામેના કેસના પુરાવા માટે તેના ગર્ભની પેશીના DNA જાળવીને FSL માટે મોકલવામાં આવે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 8:10 pm

હિંમતનગરમાં પાન પાર્લરની આડમાં દારૂની હેરાફેરી:192 બોટલ વિદેશી દારૂનું વેચાણ, એક શખ્સ ઝડપાયો

હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં પોલીસે દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. સન ફલાવર કોમ્પ્લેક્ષના ભોયરામાં ચાલતા પાન પાર્લરની આડમાં દારૂનું વેચાણ થતું હતું. એ ડિવીઝન પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી. આ દરમિયાન પોલીસે ઉમિયા વિજય સોસાયટીના રહેવાસી નિખીલકુમાર જગદીશભાઇ સુથારને ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં આરોપી પાસેથી વિદેશી દારૂ અને બીયરની કુલ 192 બોટલો મળી આવી હતી. જેની કિંમત રૂપિયા 70,115 છે. આ ઉપરાંત એક મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે, જેની કિંમત રૂપિયા 5,000 છે. બી ડિવીઝનના પીઆઇ પી.એમ.ચૌધરીના જણાવ્યા મુજબ, કુલ રૂપિયા 75,115નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 8:06 pm

PAYTMનો સાઉન્ડ ચાર્જ 1 રૂપિયો કરવાનું કહી 500 વેપારીઓને ખંખેર્યા:10 પાસ માસ્ટરમાઈન્ડે ટોળકી સાથે મળી 1 કરોડની છેતરપિંડી કરી, આ MOથી તમે ચેતજો

ગુજરાત સહિત ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઓનલાઈન પેમેન્ટનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે શાકભાજીની લારીથી માંડી મોલ સુધી ઓનલાઈન પેમેન્ટના ઓપ્શન ઉપલબ્ધ થયા છે. તો બીજી તરફ હવે ઓનલાઈન પેમેન્ટની સુવિધા આપતા નાના નાના વેપારીઓને ઠગ ટોળકીએ ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું છે. અમદાવાદ સાયબર ક્રાઈમે એક ટોળકીને ઝડપી પાડી છે. જેઓ વેપારીઓને Paytmનો સાઉન્ડ ચાર્જ એક રૂપિયો કરી આપવાનું કહીં છેતરપિંડી કરતા હતા. ટોળકીનો માસ્ટર માઈન્ડ માત્ર 10 પાસ છે. જેને અત્યાર સુધીમાં એક જ મોડસ ઓપરેન્ડીથી 500 વેપારીઓને ફસાવી 1 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. આ ટોળકીમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ પણ ગુનાહિત ભૂતકાળ ધરાવતા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓની ગુનો આચરવાની મોડસ ઓપરેન્ડીPaytmનો સાઉન્ડ ચાર્જ એક રૂપિયો કરવાનું કહી છેતરપિંડી આચરતી ટોળકીના સભ્યો પોતાની ઓળખ Paytmના કર્મચારી તરીકેની આપી વેપારીઓનો સંપર્ક કરતા હતા. ત્યારબાદ તેમના સાઉન્ડ બોક્સના ચાર્જ 1 રૂપિયો કરવાનો કહી તેમના પાસેથી પહેલા Paytmમાં એક રૂપિયો ટ્રાન્સફર કરાવતા હતા. વેપારી જ્યારે એક રૂપિયો ટ્રાન્સફર કરે ત્યારે પીન જાણી લેતા હતા. ત્યારબાદ મોબાઇલથી ડેબીટ કાર્ડ માટેની ઓનલાઇન રિક્વેસ્ટ નાખવાનું કહેતા. જ્યારે સાત દિવસ બાદ ડેબીટ કાર્ડ આવે ત્યારે ફરીથી આ ઠગ દુકાને પહોંચી જતા હતા અને ડેબીટ કાર્ડ એક્ટિવ કરવા દુકાનદારનો મોબાઇલ લઇ બેંકની એપ્લીકેશ મારફતે પોતાના બે જુદા જુદા એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરી લેતા હતા. વાસણાના એક વેપારીએ કરેલી ફરિયાદ બાદ પહેલા ત્રણ અને બાદમાં છ આરોપી ઝડપાયાઅમદાવાદના વાસણામાં એક વેપારી સાથે ઠગ ટોળકીએ 6 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. જે મામલે વેપારીએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે પહેલા ત્રણ અને બાદમાં વધુ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેઓના નામ નીચે મુજબ છે. 1) ગોવિંદ લાલચંદ ખટીક (ઉ.વ. 23) કાઝીમીયાનો ટેકરો, શાહપુર અમદાવાદ, મૂળ જયપુર રાજસ્થાન) 2) બ્રિજેશ ગિરીશભાઇ પટેલ(ઉ.વ.30) સાનિધ્ય એપાર્ટમેન્ટ, રાણીપ, , મૂળ મોકાસણ ગામ મહેસાણા 3)પરાગ ઉર્ફે રવિ લક્ષ્મણભાઇ મિસ્ત્રી (ઉ.વ. 24 સોહરાબજી કંમ્પાઉન્ડ, વાડજ, મૂળ શિવગંજ રાજસ્થાન) 4) રાજ રાકેશભાઇ દ્વારકાભાઇ પટેલ(ઉ.વ. 28, શાહિબાગ સોસાયટી, વિસનગર. મૂળ રહે. કેસણી ગામ. ચાણસ્મા) 5)ડીલક્ષ ઉર્ફે ડબુ ટીકમચંદ સુથાર (ઉ.વ. 27, સરદાર કોલોની, વાડજ, મૂળ રહે. પાલી રાજસ્થાન) 6)પ્રિતમ મિઠાલાલ સુથાર( ઉ.વ 26 રહે. કાનપુરા, પાલી રાજસ્થાન) આ કેસમાં અગાઉ ત્રણ સાગરિતો ઝડપાયા હતા 1) મોહસીન યાકુબભાઇ પટેલ( ઉવ.39 રહે. ઝમઝમ પાર્ક સોસાયટી, ફૈઝ સ્કુલની સામે તાંદલજા રોડ. વડોદરા) 2) સદ્દામ મહમંદ હનીફ પઠાણ( ઉવ. 31, રહે નઇમ કોમ્પલેક્ષ ફતેપુરા વડોદરા) 3) સલમાન નસરતઅલી જમીલ શેખ( ઉ.વ. 25 ધર્મેશનગર આજવા ચોકડી. વડોદરા) Paytmના કર્મચાીર તરીકેની ઓળખ આપી વેપારીને ફસાવતાઆ ગેંગના સાગરીતો અમદાવાદ સહિત જુદા જુદા રાજ્યોના શહેરમાં જઇને Paytm કંપનીમાંથી આવતા હોવાની દુકાદારનો ઓળખાણ આપતા હતા. ત્યાર બાદ Paytm સાઉન્ડ બોક્સના મશીનનો જે અલગ અલગ ચાર્જ લેવામાં આવે છે. તે હાલ 1 રૂપિયો કરી દેવામાં આવ્યો છે. તેમ કહી દુકાનદારને વિશ્વાસમાં લઇ દુકાનદાર પાસેથી પોતાના PAYTM સ્કેનરમાં 1 રૂપિયો ટ્રાન્સફર કરાવતા હતા અને પીન જાણી લેતા હતા. ત્યારબાદ દુકાનદારનો મોબાઇલ લઇને બેંકની એપ્લિકેશન દ્વારા રૂપિયા ટ્રાન્સફર કરી દેતા હતા. આ ગેંગના સાગરીતો મોટાપાયે ગેરકાયેદ ઓનલાઇ ગેમીંગ કૌભાંડમાં પણ સંડોવાયેલા હોવાની વિગતો સામે આવી રહી છે. ઠગ ટોળકીએ રાજ્યના અલગ અલગ શહેરોના વેપારીઓને ટાર્ગેટ કર્યાઆ ગેંગ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ ઉપરાંત વડોદરા, આણંદ, નડીયાદ, ખેડા. કડી, કલોલ. ઉંઝા, મહેસાણા, બારેજા, બારેજડી, સુરેન્દ્રનગર, લીંમડી, બગોદરા, પાલનપુર, ચાંગોદર ,વાવોલ તથા અડાલજમાં જુદા જુદા દુકાનદારોને ટાર્ગેટ કરીને ઠગાઇ કરી હતી. કૌભાંડનો માસ્ટરમાઈન્ડ 10 પાસ10 પાસ બ્રિજેશ પટેલ આ કૌભાંડનો માસ્ટર માઇન્ડ છે. તે પહેલા Paytmમાં સેલ્સ ટીમમાં કામ કરતો હતો. તેનું કૌભાંડ સામે આવતાં તેને રવાના કરાયો હતો. તેણે અન્ય માણસો સાથે ગેંગ બનાવી ઠગાઇ શરૂ કરી. તેની ગેંગમાં રાજસ્થાનનો પ્રિતમ સુથાર સાતિર ગુનેગાર છે. તે હત્યા કેસનો પણ આરોપી છે પ્રિતમે પણ Paytmમાં કામ કર્યું હતું. પ્રિતમ ડમી બેંક એકાઉન્ટ ખોલાવતો હતો અને બોગસ નામે સીમ કાર્ડ મેળવી લેતો હતો. આ દિશામાં તપાસ ચાલી રહી છે. સિનિયર સિટીઝન દુકાનદારોને ટાર્ગેટ કરતા હતાઆ ગેંગ ખાસ કરીને આધેડ કે સિનિયર સીટીઝન દુકાનદારને ટાર્ગેટ કરતી હતી. જેથી તે સહેલાઇથી તેમની વાતમાં આવી જાય અને તેઓ ટેકનીકલ બાબતોથી અજાણ હોય. માટે સરળતાથી ઠગી શકાય, તપાસમાં આરોપીઓની વધુ કરતૂતો બહાર આવી શકેપોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ,આ કેસમાં અગાઉ 3 સાગરીતો વડોદરાથી ઝડપાયા હતા. તપાસમાં ઓન લાઇન ગેમીંગ અને ભાડે બેંક એકાઉન્ટ કૌભાંડ તથા ખોટા ડોક્યુમેન્ટસને આધારે સીમ મેળવવાના કૌભાંડનો પણ પર્દાફાશ થશે. આ ગેંગનો માસ્ટર માઇન્ડ બ્રિજેશ પટેલ 10 પાસ છે. જ્યારે સાતિર સાગરીત પ્રિતમ સુધાર હત્યાનો આરોપી છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 7:56 pm

BZ કૌભાંડ કેસમાં ભુપેન્દ્રને એક કેસમાં રાહત:6,000 કરોડની ફરિયાદમાં ભુપેન્દ્રસિંહ ઝાલા અને મુયર દરજીની જામીન રિજેક્ટ, 2.10 લાખ રોકાણની ફરિયાદમાં જામીન મંજૂર

BZ ફાયનાન્સ કૌભાંડ કેસમાં CID ક્રાઈમ ભુપેન્દ્રસિંહ ઝાલા અને તેના સાગરીતો સામે 6,000 કરોડના અનધિકૃત રોકાણની ફરિયાદ નોંધી હતી. જેમાં ચાર્જશીટ બાદ આજે ભુપેન્દ્રસિંહ ઝાલા અને મયુર દરજીના જામીન અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધા છે. જ્યારે પાછળથી 2.10 લાખનું રોકાણ કરાવીને પૈસા પરત ના આપવાના કેસમાં બંનેના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. ભુપેન્દ્રસિંહ ઝાલા સામે ત્રણ ફરિયાદઉલ્લેખનીય છે કે, ભુપેન્દ્રસિંહ ઝાલા સામે CID ક્રાઇમે ત્રણ ફરિયાદ નોંધી હતી. જેમાં મૂળ ફરિયાદ 6,000 કરોડના રોકાણની, ત્યાર બાદ 4.50 લાખ અને 2.10 લાખના રોકાણ મેળવી પૈસા પરત નહીં આપવાની છે. જામીન અરજી અગાઉ કૌભાંડમાં મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલા સહિત પકડાયેલા કુલ 8 આરોપી સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ કુલ 22 હજાર પેજની ચાર્જશીટ છે. મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલા સામે 250 પેજની પુરવણી ચાર્જશીટ પણ થઇ છે. ચાર્કશીટમાં 650 કરતા વધુ સાહેદો છે. 11,232 રોકાણકારોનું 422 કરોડનું રોકાણ સામે આવ્યુંભુપેન્દ્રસિંહ ઝાલા તરફે રજૂઆત થઈ ચૂકી છે કે તે ડિફોલ્ટ નથી. તેના ખાતા ફ્રીઝ કરાઈ દીધા હોવાથી તે રોકાણકારોને પૈસા પાછા આપી શકતો નથી. પોલીસ તપાસમાં 11,232 રોકાણકારોનું 422 કરોડનું રોકાણ સામે આવ્યું છે. જેમાં રોકાણકારોને 172 કરોડ પરત નહિ અપાયા હોવાનું પોલીસનું કહેવું છે. આમ 4,366 રોકાણકારોના 250 કરોડ પાછા આપી દેવાયા છે. 6,866 રોકાણકારોના પૈસા બાકી હોવાની વાત છે, જેની રકમ 172 કરોડ કહેવાય છે. આંકડો મોટો બતાવવા ફક્ત ખાતામાં ક્રેડિટ રકમ બતાવીપરંતુ આ લોકોને પણ ખાતા ફ્રીઝ થયા ત્યાં સુધી પેમેન્ટ મળ્યું જ છે. પેમેન્ટમાં ભુપેન્દ્રસિંહ ઝાલા ડિફોલ્ટ થયાનો એક પણ પુરાવો કોર્ટ સમક્ષ મુકાયો નથી. 94 કરોડ ચૂકવવાના બાકી છે તે પાકતી મુદતના પૈસા છે, વ્યાજ તો ચૂકવાય જ છે. આંકડો મોટો બતાવવા CIDએ ફક્ત ખાતામાં ક્રેડિટ રકમ બતાવી છે, ડેબિટ રકમ બતાવતી નથી. આરોપી મયુર દરજી સામે આક્ષેપ છે કે તેણે 325 રોકાણકારો પાસેથી 8.73 કરોડ જેટલું રોકાણ કરાવ્યું હતું. 44.64 લાખ તેના બેંક ખાતામાં જમા થયા હતા. મયુર દરજીએ રોકાણકારો પાસેથી કુલ રૂપિયા 4 કરોડ જેટલા રોકડા ઉઘરાવ્યા હોવાનું સામે આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 7:52 pm

ગીર સોમનાથમાં ગેરકાયદે ડીઝલનો મોટો જથ્થો પકડાયો:8330 લીટર શંકાસ્પદ ડીઝલ જપ્ત, પોલીસને વોટ્સએપ હેલ્પલાઈન પર મળી હતી માહિતી

ગીર સોમનાથ જિલ્લા પોલીસે ગેરકાયદે ડીઝલના વેપાર પેઢી સામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસની વોટ્સએપ હેલ્પલાઈન પર મળેલી માહિતીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે 8330 લીટર શંકાસ્પદ ડીઝલનો જથ્થો જપ્ત કર્યો છે. એલસીબી ટીમે ઉના-ગીરગઢડા રોડ પર સુગર ફેક્ટરીના ગ્રાઉન્ડ પાસે એક છકડા રિક્ષામાંથી 325 લીટર શંકાસ્પદ ડીઝલ મળી આવ્યું હતું. આ જથ્થાની તપાસ દરમિયાન પોલીસને ઉના બાયપાસ પાસે આવેલા શ્રી રામ ટ્રેડિંગમાંથી વધુ 8005 લીટર ડીઝલ મળી આવ્યું હતું. પોલીસે આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં હાજીભાઈ કાસમભાઈ સુમરા (22 વર્ષ), યુસુફભાઇ સીખુભાઇ સિપાઈ (43 વર્ષ) અને ધનસુખભાઇ કાનાભાઇ બારૈયા (32 વર્ષ)નો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ 30 માર્ચના રોજ જિલ્લામાં થતી અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા માટે વોટ્સએપ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો હતો. આ નંબર પર મળેલી માહિતીના આધારે પોલીસે આ સફળ કાર્યવાહી કરી છે. પોલીસે જપ્ત કરેલા ડીઝલના જથ્થાની તપાસ માટે પુરવઠા વિભાગના અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે. તેઓ નિયમ મુજબ નમૂના લઈને આગળની કાર્યવાહી કરશે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 7:52 pm

આત્મીય યુનિ.ના સ્વામીએ પ્રોફેસર વિરૂદ્ધ કરેલ દાવો કોર્ટે ફગાવ્યો:એક જ તારીખનો નિમણૂક અને ટર્મિનેશનનો લેટર ધ્યાને આવતા સિવિલ જજે રીકવરી ઓફ મનીનો દાવો ફગાવ્યો

સર્વોદય કેળવણી સમાજના સેક્રેટરી ત્યાગ વલ્લભ સ્વામીએ તેમની કોલેજના ભૂતપૂર્વ પ્રોફેસર નોરંતમલ એન. ખંડેલવાલ વિરુધ્ધ લેણી રકમ વસૂલ મળવા અંગેનો દાવો રાજકોટની સિવિલ કોર્ટમાં દાખલ કર્યો હતો. ત્યાગ વલ્લભ સ્વામીની દાવા અરજી મુજબ નોરંતમલ એન ખંડેલવાલને MBA વિભાગમાં પ્રોફેસર તરીકે નિમણૂક આપવામાં આવી હતી. તેની સાથે તેમના મકાનમાં સગવડ તરીકે ટી.વી., એ.સી., ફ્રિઝ, ડાઈનીંગ ટેબલ, સોફા, પલંગ, ગાદલા, તેમજ ઓવન ગ્રાઈન્ડર, મિકસર સહિતની તમામ વસ્તુઓ નવી ખરીદી તેમના ઘરે પહોંચતી કરી હતી. નોરંતમલ એન ખંડેવાલને જરૂરી એવા ફેરફાર તેમની સૂચના પ્રમાણેની સગવડ પણ ત્યાગ વલ્લભ સ્વામીએ તેમના ઘરમાં ખર્ચ કરી આપી પરંતુ, નોરંતમલ ખંડેલવાલની નિમણૂક નામંજુર કરાતા તેમને સેવામાંથી છુટા કરવા ફરજ પડી હતી. આપેલ ચીજવસ્તુઓ પરત ન કરતા ત્યાગ વલ્લભ સ્વામીએ રીકવરી ઓફ મનીનો દાવો રાજકોટની સિવિલ કોર્ટમાં દાખલ કર્યો હતો. એક જ તારીખે નિમણૂક અને ટર્મીનેશન કેવી રીતે થઈ શકે?નોરંતમલ ખંડેલવાલ તરફે દેવદત બી મહેતાએ તેમની મૌખિક રજૂઆતમાં જણાવ્યું કે, ખંડેલવાલને અપોઇમેન્ટ શરતોને આધીન નિમણૂક આપવામાં આવી છે. નિમણૂક કઈ શરતોને આધીન આપવામાં આવી તે અંગેનો કોઈ જ રિપોર્ટ કે શરતો અંગેનો કોઈ જ લેખિત દસ્તાવેજ વાદી દ્વારા રજૂ રાખવામાં આવ્યો નથી. નિમણૂકનો ઓર્ડર આપવામાં આવ્યો અને તે જ તારીખનો ટર્મિનેશન લેટર પણ રજૂ કર્યો છે. આ રીતે એક જ તારીખે પ્રતિવાદીની નિમણૂક અને ટર્મીનેશન કેવી રીતે થઈ શકે તે હકીકત ધ્યાને લેતાં વાદી દ્વારા માત્ર ખોટી હકિકતો દર્શાવી હાલનો દાવો કર્યો છે. સિવિલ જજે સ્વામીએ દાખલ કરેલ દાવો રદ્દ કરતો હુકમ ફરમાવ્યોઆમ બન્ને પક્ષોની રજુઆત ધ્યાને લીધા બાદ રાજકોટના 14માં અધિક સીની.સિવિલ જજ એ.જે.સંઘવીએ ત્યાગ વલ્લભ સ્વામીએ દાખલ કરેલ દાવો રદ્દ કરતો હુકમ ફરમાવ્યો છે. જેમાં નરોત્તમલ એન ખંડેલવાલ તરફે રાજકોટના એડવોકેટ દેવદત્ત બી.મહેતા તથા ભરત પી.નાગ્રેચા રોકાયા હતાં.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 7:49 pm

જુનાગઢમાં પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢ્યો:સંઘાળીયા બજારમાં વેપારી પાસે છરીની અણીએ પૈસા માંગનાર ચાર આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન

જુનાગઢ એ ડિવિઝન પોલીસે સંગાડીયા બજારમાં વેપારી પાસેથી કપડાની ખરીદી કરી ખંડણી રૂપે રૂપિયા માંગવાના કેસમાં પકડાયેલા ચાર આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે. આરોપીઓએ સંઘાળીયા બજારમાં એક કપડાના વેપારી પાસેથી છરીની અણીએ ખંડણી માંગી હતી. પોલીસે પકડેલા આરોપીઓમાં ફૈઝાન ઉર્ફે કોથમીર ફિરોજભાઈ શેખ, રેહાન મજીદ ખાન પઠાણ, ફરદીન ફિરોઝભાઈ શેખ અને નવસાદ ઉર્ફે સાહિલ મોહમ્મદ રફીક શેખનો સમાવેશ થાય છે. વેપારીની ફરિયાદના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે આરોપીઓને ગુનાની જગ્યાએ લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ દરમિયાન પોલીસે આરોપીઓનું સરઘસ પણ કાઢ્યું હતું. આ કાર્યવાહીથી શહેરના આવારા તત્વો અને ગુંડાગીરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. જુનાગઢ પોલીસે શહેરમાં સઘન પેટ્રોલિંગ પણ શરૂ કર્યું છે. પોલીસની આ કડક કાર્યવાહીથી બુટલેગર્સ અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા લોકોમાં ડરનો માહોલ છે. પોલીસે ગુનાખોરી ડામવા માટે વિશેષ અભિયાન શરૂ કર્યું છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 7:46 pm

AMCનો એક જ વર્ષમાં 11682 કરોડનો ખર્ચ:ગુજરાતમાં વિકાસ કાર્યોનો ખર્ચ કરવાવાળી સૌથી મોટી અમદાવાદ મહાનગરપાલિકા, ગટર-પાણી અને બ્રિજ-રોડ પાછળ વધુ ખર્ચ

રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા એવી અમદાવાદ મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો અને મ્યુનિસિપલ કમિશનરની માર્ગદર્શન હેઠળ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન કુલ ખર્ચ 11,682 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસના કામો કર્યા છે. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના નાણાકીય વર્ષ 2024-25માં વિકાસના કામો માટે આવક 3,429.07 કરોડ થઈ છે. રાજ્ય સરકાર તરફથી વર્ષમાં નાણાકીય સહકાર અંતર્ગત માર્ચ 2025માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને Special Assistance માટે 416 કરોડ અલગથી આપવામાં આવ્યા છે. પાણીની સુવિધા માટે 544.94 કરોડ અને ડ્રેનેજ પાછળ 1389.38 કરોડ ખર્ચસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશનના નાણાકીય વર્ષ 2024-25માં વિકાસના કામો જેવા કે પાણીની સુવિધા માટે 544.94 કરોડ, ડ્રેનેજ માટે 1389.38 કરોડ ખર્ચ થયો છે. ડ્રેનેજ સંબંધિત પ્રોજેક્ટ પૈકી ખારીકટ ડેવલોપમેન્ટ માટે 268.30 કરોડ, GRCP અંતર્ગત વાસણાનો 375 MLD STP બનાવવા તેમજ પીરાણાનો 425 MLD STP બનાવવા 147.17 કરોડ ખર્ચ થયો છે. ડ્રેનેજ તેમજ વોટરના ખર્ચ પૈકી અમૃત સ્કીમના 849.29 કરોડ ખર્ચ થયો છે. શહેરીજનોને વરસાદી પાણી ભરાવવામાં મુક્તિ મળે અને નવા મજબૂત ટકાઉ રોડ મળે તેના માટે વ્હાઈટ ટોપીંગ રોડ તેમજ આઇકોનિક રોડ સહિત રોડ માટે કુલ 1095.58 કરોડનો ખર્ચ કરાયો છે. નવા બ્રિજ અને અંડરબ્રિજ બનાવવા પાછળ 246 કરોડનો ખર્ચશહેરીજનોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળે તેના માટે વિવિધ વિસ્તારોમાં નવા બ્રિજ અને અંડરબ્રિજ બનાવવા પાછળ 246 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા મળેલી 15મા નાણાપંચની એર ક્વોલિટી અને સ્વચ્છ ભારત મિશનની ગ્રાંટ અનુંસધાને 253.19 કરોડ મળી કુલ 5516.66 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ગત નાણાંકીય વર્ષ 2023-24માં કોર્પોરેશનના ઈતિહાસમાં સૌપ્રથમ વખત રેવન્યુ તથા વિકાસના કામો માટે કુલ ખર્ચ 10,000 કરોડથી વધારે કરવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નાણાંકીય વર્ષ 2024-25 માટે પણ વિકાસના કાર્યો વધુમાં વધુ કરવામાં આવી રહ્યા છે. કયા મહત્વના પ્રોજેક્ટ કરવામાં આવ્યા

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 7:44 pm

સુરતની 7 વર્ષીય પ્રાગણિકા બની ગુજરાતની 'ડી ગુકેશ':ફીડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ-2025માં અંડર-7 ગર્લ્સ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો, 3 વર્ષની ઉંમરથી રમે છે ચેસ

સુરતની સાત વર્ષીય પ્રાગણિકા વાંકા લક્ષ્મી ચેસના ક્ષેત્રમાં અંડર-7 ગર્લ્સ કેટેગરીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિશ્વ ચેમ્પિયન બનીને ગુજરાતની ‘ડી ગુકેશ’ બની છે. પ્રાગણિકાએ યુરોપના સર્બિયામાં યોજાયેલી ફીડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025માં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. માત્ર 15 મહિનાની પ્રેક્ટિસ સાથે આ અનન્ય સિદ્ધિ હાંસલ કરનાર પ્રાગણિકા માટે આ માત્ર શરૂઆત છે. પ્રાગણિકાએ વિશ્વ ચેમ્પિયનનો તાજ મેળવ્યોસર્બિયામાં યોજાયેલી આ સ્પર્ધામાં 35 દેશોના ખેલાડીઓને માત આપી, પ્રાગણિકાએ વિશ્વ ચેમ્પિયનનો તાજ મેળવ્યો. આ ટૂર્નામેન્ટમાં 7થી 17 વર્ષના ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં પ્રાગણિકા એકમાત્ર ભારતીય પ્રતિનિધિ હતી. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન તેણે પોતાના તમામ રાઉન્ડ જીતી અવિજેય રહેવાની સિદ્ધિ પણ હાંસલ કરી. 15 મહિના સુધી સતત મહેનત કરીપ્રાગણિકા પોતાની મોટી બહેન વરેણીયા વાંકા પાસેથી પ્રેરણા લેતી હતી, જેણે પણ અનેક ચેસ સ્પર્ધાઓમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. માત્ર 7 વર્ષની નાનકડી દીકરીએ આ સિદ્ધિ પાછળ 15 મહિના સુધી સતત મહેનત કરી છે. તેણે 2023 અને 2024 દરમિયાન ગુજરાત રાજ્ય ચેસ ચેમ્પિયનશિપ અને ઈન્ટર-સ્કૂલ ચેમ્પિયનશિપમાં અંડર-7 કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવી, પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો હતો. વિવિધ ટૂર્નામેન્ટમાં અંડર-7 કેટેગરીમાં ચેમ્પિયનશિપના ખિતાબ જીત્યા 2024માં પ્રાગણિકાએ આંધ્રપ્રદેશમાં યોજાયેલી નેશનલ સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સાથે જ, સુરત અને મુંબઈમાં યોજાયેલી વિવિધ ટૂર્નામેન્ટમાં અંડર-7 કેટેગરીમાં ચેમ્પિયનશિપના ખિતાબ જીત્યા છે. આ ઉપરાંત, પ્રાગણિકાએ ફીડે રેટિંગ 1450 મેળવ્યું છે. ગુજરાત રાજ્યમાં અંડર-7થી લઈને અંડર-16 કેટેગરીમાં આટલું ફીડે રેટિંગ ધરાવતી એકમાત્ર બાળકી છે. અમારા પરિવારમાં ચેસ રમનારા કોઈ ન હતાપ્રાગણિકાની સફળતા પાછળ તેની કોઈસ રોહન ઝુલ્કાનું માર્ગદર્શન અને માતા-પિતા પ્રવિણા અને રામનાથ વાંકાનું સમર્પણ મહત્વપૂર્ણ રહેલું છે. રામનાથ વાંકા, જે GST વિભાગમાં અધિકારી છે, તેઓએ જણાવ્યું કે, અમારા પરિવારમાં ચેસ રમનારા કોઈ ન હતા, પરંતુ મોટી દીકરીએ પ્રેરણા આપી અને નાની દીકરીએ તેને અપનાવી. ટૂંક સમયમાં આટલી મોટી સિદ્ધિ મેળવી, એ અમારી માટે ગૌરવની વાત છે. અમારી શાળાની વિદ્યાર્થીની વિશ્વ ચેમ્પિયન બની એ ગૌરવની વાતપ્રાગણિકાની શાળાના પ્રિન્સિપલ ચેતન દાણવાળા એ જણાવ્યું કે, આજે જ્યારે બાળકો ગેજેટ્સ અને સોશિયલ મીડિયામાં વ્યસ્ત છે ત્યારે અમારી શાળાની એક નાની વિદ્યાર્થીનીએ વિશ્વ ચેમ્પિયન બની આપણી તમામ માટે ગૌરવ લાવ્યું છે. તે ક્યારેય પણ કોઈ પણ કોમ્પિટિશનમાં જાય ત્યારે મેડલ ચોક્કસ લાવે છે. આ સિદ્ધિ પ્રાગણિકા માટે એક પડાવ છે. તે આગામી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાના પ્રયાસમાં છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 7:33 pm

ગોધરાના ભામૈયા ગામમાં મંદિરમાં તોડફોડ મામલો:હિન્દુ સંગઠનોએ કલેકટરને આવેદન આપ્યું, આરોપીઓની ધરપકડની કરી માગ

ગોધરા તાલુકાના ભામૈયા ગામમાં રંગેશ્વર મહાદેવ મંદિરમાં ગંભીર ઘટના સામે આવી છે. અજ્ઞાત શખ્સોએ મંદિરમાં તોડફોડ કરી માતા પાર્વતીની મૂર્તિ ખંડિત કરી છે. 30 માર્ચના રોજ બનેલી આ ઘટનામાં શિવલિંગની આસપાસના ભાગમાં પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. દુષ્કૃત્ય કરનારાઓએ પવિત્ર શિવલિંગને અપવિત્ર કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ ઘટનાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે. સંગઠનોએ આરોપીઓની તાત્કાલિક ધરપકડ અને કડક કાર્યવાહીની માગ કરી છે. આવેદન સમયે કાર્યકરોએ શંકર ભગવાનનું અપમાન નહીં સહેંગે અને જય શ્રી રામ જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથે જ ગેરકાયદેસર માલમિલકત પર બુલડોઝર ફેરવવાની માગ પણ કરવામાં આવી છે. હિન્દુ સંગઠનોના આગેવાનોએ માગ કરી છે કે, આવા કૃત્યો કરનારાઓને એવી સજા થવી જોઈએ કે ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય કરતા પહેલા સો વાર વિચારે. સ્થાનિક હિંદુ સમાજમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 7:32 pm

પતિનો પત્ની પર હુમલો:વડોદરામાં સંતાનને મળવા ગયેલી પત્ની પર પતિએ બેટથી હુમલો કર્યો, જાનથી મારી નાંખવાની ધમકી આપી

વડોદરા શહેરના ડભોઈ રોડ પર સાસરીમાં રહેતા સંતાનોને મળવા માટે ગયેલી પત્ની સાથે પતિએ ઝઘડો કર્યો હતો. ત્યાર બાદ પત્ની પર બેટથી હુમલો કરી તું અહીં આવીશ તો તને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી પત્નીએ પતિ વૃદ્ધ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પતિ આડા સંબંધની શંકા કરતો હોવાથી અગાઉ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપી હતી. વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં રહેતા મહિલાએ ફરીયાદ નોંધાવી છે કે, મારા લગ્ન ચિરાગભાઈ ભાનુભાઈ સોલંકી સાથે સમાજના રીતરીવાજ મુજબ લગ્ન થયા હતા. અમારે સંતાનમાં બે બાળકો છે. મારા પતિ મારી સાથે નાની-નાની વાતમાં ઝઘડા કરે છે અને મારી પર ખોટા શક-વહેમ રાખી મને શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. તેથી આજથી આશરે 15 દિવસ પહેલાં મારી પર આડા સંબંધ બાબતે શક કરતા અમારે ઝધડો થયો હતો. તેથી હું એકલી અટલાદરા ખાતે મારા મામાની દીકરીના ઘરે રહેવા જતી રહી હતી. 31 માર્ચના રોજ સવારના સવારના 10 વાગ્યાની આસપાસ મારી દીકરીનો મારા મામાની દીકરીના મોબાઈલ ફોન પર ફોન આવ્યો હતો અને મને મળવા માટે બોલાવી હતી. જેથી હું બપોરના 3 વાગ્યાની આસપાસ મારી દીકરીને મળવા માટે મારા મૂળ નિવાસસ્થાને ગઈ, ત્યારે મને જાણવા મળેલ કે મારા બંને બાળકો ટ્યુશન ગયેલ હતા ત્યારે મારા પતિ ચિરાગ ભાનુ સોલંકીએ મારી સાથે ઝઘડો કરી મને ગાળો બોલવા લાગ્યા હતા. ત્યાર બાદ ત્યાં પડેલાં બેટથી મને માર્યો હતો અને મને કહ્યું હતું કે તું અહીં આવીશ તો તને મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. આજથી 15 દિવસ પહેલા કારેલીબાગ મહિલા પોલીસ સ્ટેશનમાં મારા પતિ વિરુધ્ધ અરજી કરી હતી. જેથી પોલીસે મહિલાના પતિ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 7:31 pm

આંકલાવ APMCમાં કોંગ્રેસનો દબદબો:ખેડૂત વિભાગની 10 બેઠકો પર કોંગ્રેસ પ્રેરિત પેનલ બિનહરીફ જાહેર

આંકલાવ એપીએમસીમાં ખેડૂત વિભાગની 10 બેઠકોની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલ બિનહરીફ વિજેતા જાહેર થઈ છે. આ જીત સાથે કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આંકલાવ એપીએમસીમાં ખેડૂત વિભાગની 10 બેઠકો માટે કુલ 12 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. આ તમામ ઉમેદવારો કોંગ્રેસ પ્રેરિત પેનલના હતા. તેમાં આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાનો પણ સમાવેશ થાય છે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે બે ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું. આ પછી ચૂંટણી અધિકારીએ બાકીના તમામ 10 ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા. નોંધનીય છે કે, આંકલાવ નગરપાલિકા ભાજપે કબજે કર્યા બાદ એપીએમસીમાં પણ ભાજપ જોર લગાવશે તેવી અટકળો હતી. જોકે, ભાજપ પ્રેરિત કોઈ ઉમેદવાર મેદાનમાં ન ઉતરતા કોંગ્રેસનું શાસન યથાવત રહ્યું છે. વિજય બાદ અમિત ચાવડા અને કોંગ્રેસના જિલ્લા પ્રભારી ભીખાભાઈ રબારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિજેતા ઉમેદવારોએ તમામનો આભાર માન્યો હતો. કોંગ્રેસ પ્રેરીત મંડળીઓ હોય ઉમેદવાર ઉભા રાખ્યા નહોતા: ભાજપ અગ્રણી આંકલાવના ભાજપના અગ્રણી ગુલાબસિંહ પઢીયારે જણાવ્યું હતું કે, જે સાત મંડળીઓ હતી તે તમામ કોંગ્રેસ પ્રેરિત હતી. જેથી ભાજપનો કોઈ ઉમેદવાર જ ન હતો. એકમાત્ર ખડોલ મંડળી ભાજપ પ્રેરિત હતી. પરંતુ ધિરાણ ન થવાના કારણે મંડળી રદ થતા ઉમેદવારી કરવાનો કોઈ પ્રશ્ન જ રહ્યો ન હતો. જેથી આંકલાવ એપીએમસીમાં ફરી એકવાર કોંગ્રેસ પ્રેરિત પેનલ વિજય થયો છે.બિનહરીફ વરણી થયેલ ઉમેદવારોચાવડા અમિતભાઈ અજીતસિંહ (કેશવપુરા)પઢિયાર વિજયભાઇ રામાભાઇ (ખડોલ)પઢિયાર ગોપાલભાઈ મણીભાઈ (બામણગામ)સોલંકી નગીનભાઈ ચંદુભાઈ (મોટીસંખ્યાડ)મહીડા ધર્મેન્દ્રસિંહ ભગવાનસિંહ (ઉમેટા)પરમાર દિલીપસિંહ લાલસિંહ(ભેટાસી)પઢિયાર મનુભાઈ મેલાભાઈ (આસોદર)પઢિયાર છગનભાઈ બાવસિંહ (બિલપાડ)પઢિયાર કૌશિકભાઈ રાવજીભાઈ (રામપુરા)ઠાકોર હઠીસંગભાઈ દેસાઇભાઇ (નવાખલ)

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 7:28 pm

ડીસાની ઘટના બાદ સુરત પોલીસ એલર્ટ:ફટાકડાના ગોડાઉન માટે સુરક્ષા ઓડિટના આદેશ આપ્યા, સુરત શહેરમાં કુલ 44 ફટાકડાની લાઇસન્સ પ્રાપ્ત દુકાનો

ડીસા શહેરમાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના બાદ સુરત પોલીસ તત્કાળ એક્શનમાં આવી છે. શહેરમાં આવા કોઈ પણ અણધાર્યા અકસ્માતો નહીં થાય તે સુનિશ્ચિત કરવા માટે, સુરત સ્પેશ્યલ DCP હેતલ પટેલે શહેરના તમામ પોલીસ સ્ટેશનોને ફટાકડાના ગોડાઉન અને દુકાનોની સુરક્ષા ઓડિટ કરવા સખત સૂચનાઓ આપી છે. શહેરમાં આવેલી તમામ ફટાકડાની ગોડાઉન અને દુકાનોની તાકીદે ચકાસણી કરવામાં આવશે.ગોડાઉન અને સ્ટોરેજ યુનિટમાં ફાયર સેફ્ટી અને અન્ય સુરક્ષા ઉપાયો યોગ્ય છે કે નહીં, તે ચકાસવામાં આવશે. જો કોઈપણ ગોડાઉનમાં બેદરકારી, અનિયમિતતા અથવા સેફ્ટી ઉલ્લંઘન જોવા મળશે, તો તેમના પર તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવશે. ફટાકડાની દુકાનો અને ગોડાઉન પર ખાસ નજરસુરત શહેરમાં કુલ 44 ફટાકડાની લાઇસન્સ પ્રાપ્ત દુકાનો છે, જેની પણ ચકાસણી કરવામાં આવશે. દીપાવલી દરમિયાન અને અન્ય પ્રસંગોએ ફટાકડાનો વેપાર કરવામાં આવે છે, પરંતુ આ વ્યવસાય સાથે જોડાયેલી સુરક્ષા પરિબળો મહત્વની હોય છે. આ માટે, ગોડાઉન અને સ્ટોરેજ જગ્યાઓમાં સેફ્ટી મર્યાદાઓનું પાલન કરાવવાનો ઉદ્દેશ્ય પોલીસનો છે. ડીસાની દુર્ઘટનાની પુનરાવૃત્તિ સુરતમાં ન થાય, તે માટે પોલીસ અને સંબંધિત વિભાગો સતર્ક છે. આગામી દિવસોમાં સુરત પોલીસ દ્વારા આ ઓડિટની અસરકારક અમલવારી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 7:15 pm

રાજકુમાર જાટના શંકાસ્પાદ મોતનો મામલો HCમાં પહોંચ્યો:CBIને તપાસ સોંપવાની માગ સાથે અરજી કરવામાં આવી, ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને તેના પુત્રને પોલીસ બચાવતી હોવાનો આક્ષેપ

રાજકોટના 24 વર્ષીય રાજકુમાર જાટના અકસ્માત મૃત્યુનો ગુનો કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો. યુવકના પરિવારનું માનવું છે કે તેનું અકસ્માતે મૃત્યુ નહીં, પરંતુ હત્યા થઈ છે. આ હત્યામાં પૂર્વ MLA જયરાજસિંહના પુત્ર ગણેશ ગોંડલ સામેલ છે. પરંતુ સ્થાનિક પોલીસ તેને બચાવી રહી છે. જેથી આ ફરિયાદની વધુ તપાસ CBI ને સોંપવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જે અરજી ઉપર આગામી સમયમાં ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણીની શક્યતા છે. મૃતકના પિતા છેલ્લા 30 વર્ષથી રાજકોટના ગોંડલમાં રહે છે. તેઓ ભાજીપાવની લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમનો પુત્ર એન્જિનિયર હતો, ભણવામાં હોશિયાર હોવાથી તે UPSC ની તૈયારી કરતો હતો. એક વખત પિતા પુત્ર બાઈક ઉપર પરત આવી રહ્યા હતા ત્યારે પુત્રને ઝડપી બાઇક ચલાવવા મામલે પિતાએ ટોક્યો હતો. પુત્રએ જે જગ્યાએ બાઈક ઊભું રાખ્યું હતું તે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહનું ઘર હતું. તેમના ઘરમાં ગણેશ ગોંડલ અને તેના માણસોએ પિતા પુત્ર સાથે મારપીટ કરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. પુત્રને ભણવામાં ડિસ્ટર્બ ના થાય તેથી પોતાના ઘરની સામે જ પિતાએ તેને ભાડાનું ઘર અપાવ્યું હતું. એક દિવસ પુત્ર ઘરેથી કંઈ કહ્યા વગર ચાલી નીકળ્યો હતો. સવારે પુત્રને ન જોતા તેની શોધખોળ આચરવામાં આવી હતી. પોલીસને જાણ કરવામાં આવી હતી. આખરે થોડા દિવસ બાદ પોલીસને તેનો મૃતદેહ મળ્યો હોવાની જાણ તેના પરિવારને કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ રાજકુમાર જાટનું મૃત્યુ અકસ્માતમાં થયું હતું. જો કે તે તેના ઘરથી 60 કિલોમીટર દૂરનો તે વિસ્તાર હતો. વળી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેને 42 જેટલી ઇજાઓ થઈ હોવાનું સામે આવ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર અકસ્માતના સ્થળે કેટલીક ગાડીઓ અને બાઈક પણ હતા જે ફરાર થઈ ગયા હતા. વળી પૂર્વ MLA કે તેના દીકરા સામે ફરિયાદ નહીં કરવા પિતાને ધમકી મળી હતી. પુત્રના મેડિકલ રિપોર્ટ કે ડાઈંગ ડિકલેરેશન લેવામાં આવ્યું ન હતું. પિતાના મત મુજબ જો કેસની તપાસ CBI ને સોંપવામાં નહીં આવે તો સ્થાનિક પોલીસ પુરાવાઓનો નાશ કરી દેશે. બીજી તરફ મૃતક ઊંધા રવાડે ચઢ્યો હોવાથી તેનું આકસ્મિક મૃત્યુ થયું હોવાનું પોલીસનું માનવું છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 7:12 pm

ગરમીમાં માણસ બેભાન થાય તો શું કરવું?:રાજ્યમાં સૌથી વધુ રાજકોટમાં ગરમી નોંધાતા તંત્ર એલર્ટ બન્યું, મામલતદાર કચેરીમાં મોકડ્રીલ યોજી

રાજકોટમાં પૂર્વ મામલતદાર કચેરીમાં આવકનો દાખલો કઢાવવા આવેલા અરજદારને હીટસ્ટ્રોક લાગતા બેભાન થઈ ગયા હતા. આથી મામલતદાર દ્વારા તકેદારીના પગલાં લઈને તેને તાત્કાલિક 108 મારફત સિવિલ ખસેડવામાં આવ્યા હતા. આખરે આ મોકડ્રીલ જાહેર થઈ હતી. રાજકોટ શહેરની પૂર્વ મામલતદાર કચેરીમાં આવેલા એ.ટી.વી.ટી. સેન્ટરમાં 29મી માર્ચે જાવેદભાઈ (ઉ.42) નામના નાગરિક આવકનો દાખલો કઢાવવા આવ્યા હતા. ગરમી વચ્ચે આ અરજદાર અચાનક બેભાન જેવા થઈ ગયા હતા. તેને હીટસ્ટ્રોક લાગ્યાનું જણાતા સિક્યોરિટી ગાર્ડ દ્વારા પૂર્વ મામલતદાર એસ. જે. ચાવડાને જાણ કરવામાં આવી હતી. આથી મામલતદાર તાત્કાલિક દોડી ગયા હતા અને નાગરિકના ચહેરા પર પાણીનો છંટકાવ કર્યો તેમજ સી.પી.આર. પણ આપ્યું હતું. આમ છતાં અરજદારની સ્થિતિ ન સુધરતાં તાત્કાલિક ‘ઈમરજન્સી 108ને ફોન કરતાં પાંચ મિનિટમાં જ એમ્બ્યુલન્સ આવી ૫હોંચી હતી. એ પછી અરજદારને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં તેમને તાત્કાલીક સારવાર આ૫વામાં આવી હતી. જો કે કામગીરી સંપન્ન થયા પછી પૂર્વ મામલતદાર એસ.જે. ચાવડાએ સમગ્ર કામગીરીને મોકડ્રીલ જાહેર કરી હતી. આ સફળ મોકડ્રીલ શહેર-1 પ્રાંત અધિકારી ચાંદની ૫રમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 7:02 pm

જુનાગઢ મનપાની વર્ષ 2024-25માં નોંધપાત્ર વેરા વસૂલાત:પ્રોપર્ટી ટેક્સ પેટે રૂ. 53.90 કરોડ અને નામ ટ્રાન્સફર પેટે રૂ. 1.97 કરોડ મળી કુલ રૂ. 55.87 કરોડની વસૂલાત કરી

જુનાગઢ મહાનગરપાલિકાએ નાણાકીય વર્ષ 2024-25માં નોંધપાત્ર વેરા વસૂલાત કરી છે. મનપાએ પ્રોપર્ટી ટેક્સ પેટે રૂ. 53.90 કરોડ અને નામ ટ્રાન્સફર પેટે રૂ. 1.97 કરોડ મળી કુલ રૂ. 55.87 કરોડની વસૂલાત કરી છે. આ સફળતામાં મેયર ધર્મેશ પોશીયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનન અભાણી અને દંડક કલ્પેશ અજવાણીનો સહયોગ રહ્યો છે. કમિશનર ડૉ. ઓમ પ્રકાશ અને નાયબ કમિશનર ડી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ કમિશનર (ટેક્સ) કલ્પેશ ટોલીયા અને હાઉસ ટેક્સ સુપરિન્ટેન્ડેન્ટ વિરલ જોષીએ આ કામગીરી સંભાળી હતી. દોલતપરા, જોષીપુરા અને ટીંબાવાડી ઝોનના અધિકારીઓએ પણ મહત્વની ભૂમિકા નિભાવી હતી. નવા નાણાકીય વર્ષ 2025-26 માટે સોફ્ટવેર અપડેશનને કારણે 1 એપ્રિલથી 6 એપ્રિલ 2025 સુધી ઘરવેરા શાખાની ઓનલાઈન અને ઓફલાઈન વસૂલાત બંધ રહેશે. 7 એપ્રિલથી તમામ કામગીરી રાબેતા મુજબ શરૂ થશે. મિલકત ધારકોને આ અંગે ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 7:01 pm

ગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું નિધન:નવસારીમાં 93 વર્ષની વયે અંતિમ શ્વાસ, આવતીકાલે અંતિમ સંસ્કાર કરાશે, આજીવન ગાંધી મૂલ્યોને વરેલા રહ્યા

મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નીલમબેન યોગેન્દ્રભાઈ પરીખનું આજે નવસારી ખાતે 93 વર્ષની વયે નિધન થયું છે. તેઓ મહાત્મા ગાંધીના પુત્ર હરિદાસ ગાંધીની પૌત્રી હતા. નીલમબેન નવસારી જિલ્લાની અલકા સોસાયટીમાં રહેતા હતા. સમગ્ર જીવન દરમિયાન તેમણે મહિલા કલ્યાણ અને માનવ કલ્યાણના કાર્યોમાં સક્રિય યોગદાન આપ્યું હતું. તેઓ ચુસ્ત ગાંધીવાદી વિચારધારા ધરાવતા હતા અને ગાંધી મૂલ્યોને વરેલા રહ્યા હતા. તેમની અંતિમયાત્રા તા. 2 એપ્રિલે સવારે 8 વાગ્યે તેમના પુત્ર ડૉ. સમીર પરીખના નિવાસથી નીકળશે. અંતિમ સંસ્કાર વીરાવળ સ્મશાન ભૂમિ ખાતે કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 6:58 pm

લીલવા ઠાકોર ગામેથી ચોરાયેલી બાઈક ઝડપાઈ:લીમડી પોલીસે રાજસ્થાનના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો

ઝાલોદ તાલુકાના લીલવા ઠાકોર ગામમાં થયેલી મોટરસાઈકલ ચોરીના કેસમાં લીમડી પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ચોરીની મોટરસાઈકલ સાથે ઝડપી પાડ્યો છે. ગામના રહેવાસી પિન્ટુભાઈ સુરેશભાઈ ભાભોરની મોટરસાઈકલ તેમના ઘરના આંગણામાંથી ચોરાઈ હતી. તેમણે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે રાજસ્થાનના સાહુલભાઈ ઉર્ફે સાહિલ ઉર્ફે દિનેશબાઈ વાલાભાઈ કટારાને ચોરીની મોટરસાઈકલ સાથે પકડી પાડ્યો હતો. લીમડી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 6:45 pm

રમઝાન મહિનામાં અનોખી ઇબાદત:પાટડીની 8 વર્ષની બાળકીએ 30 દિવસ સુધી રોજા રાખ્યા

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી શહેરમાંથી એક નાની બાળકીની શ્રદ્ધાની અનોખી મિસાલ સામે આવી છે. પઠાણ તનાઝબાનુ સરફરાઝભાઈએ માત્ર 8 વર્ષની ઉંમરે સંપૂર્ણ રમઝાન મહિના દરમિયાન રોજા રાખ્યા છે. તનાઝબાનુએ રમઝાન મહિનાના તમામ 30 દિવસ સુધી સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ખોરાક અને પાણી વગર રોજા રાખ્યા છે. આ દરમિયાન તેણે નિયમિત રીતે અલ્લાહની ઇબાદત અને નમાઝ અદા કરી છે. આ નાની બાળકીની શ્રદ્ધા અને સમર્પણે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્યાન ખેંચ્યું છે. તેના આ કાર્યથી જે લોકો રોજા નથી રાખી શકતા તેમના માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ બની રહી છે. તનાઝબાનુની આ અનોખી ઇબાદતે સમગ્ર ગુજરાતમાં પાટડી શહેરને ગૌરવવંતું સ્થાન અપાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 6:42 pm

વિસાવદર પોલીસનું ડિજિટલ પગલું:QR કોડ આધારિત 'રિસ્પોન્સ' એપ લોન્ચ, લોકો તાત્કાલિક ફરિયાદ નોંધાવી શકશે

જુનાગઢ જિલ્લા પોલીસે આજે વિસાવદર તાલુકાના ચાપરડા ખાતે 'રિસ્પોન્સ' મોબાઈલ એપ્લિકેશનનો પ્રારંભ કર્યો છે. આ એપ્લિકેશન દ્વારા લોકો તાત્કાલિક ધોરણે પોતાની ફરિયાદ નોંધાવી શકશે અને ઝડપી નિવારણ મેળવી શકશે. જુનાગઢ રેન્જના આઈ.જી. નિલેશ ઝાંઝરીયાએ જણાવ્યું કે, વિસાવદરના વિવિધ સ્થળોએ QR કોડ ધરાવતા હોર્ડિંગ્સ અને પેમ્પલેટ્સ મૂકવામાં આવ્યા છે. નાગરિકો આ QR કોડને સ્કેન કરતાં જ વોટ્સએપ ચેટ ખુલશે. તેમાં ફરિયાદ નોંધાવ્યા બાદ, ફરિયાદીને તેમની ફરિયાદ પરની કાર્યવાહીની માહિતી મળતી રહેશે. આ પહેલ અંતર્ગત પોલીસ વિભાગ તમામ ફરિયાદોનો ડેટા એકત્રિત કરશે. સાથે જ ફરિયાદીઓની સંતુષ્ટિનું સ્તર અને કાર્યવાહીની ઝડપ વિશેની માહિતી પણ રાખવામાં આવશે. ભવિષ્યમાં ઈ-એફઆઈઆર સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જોકે હાલમાં ઈ-એફઆઈઆર સાઈનની સુવિધા ઉપલબ્ધ નથી. આ પહેલ પહેલાં પોલીસે શિવરાત્રી મેળામાં પણ QR કોડ આધારિત પાર્કિંગ વ્યવસ્થા સફળતાપૂર્વક અમલમાં મૂકી હતી. ડિજિટલ યુગમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી લોકોને વધુ સારી સેવાઓ પૂરી પાડવાના ભાગરૂપે આ નવી પહેલ શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 6:40 pm

પરણીત પ્રેમીને સેસન્સ કોર્ટે 5 વર્ષની જેલની સજા ફટકારી:ગાંધીનગરમાં TCSની કર્મીએ મધરાતે ગળાફાંસો ખાધો હતો, આરોપી મોબાઈલ લઈને નાસી ગયો હતો; દુષ્પ્રેરણાના ગુનામાં સજા

ગાંધીનગરની સેસન્સ કોર્ટે એક ચકચારી કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. પરણિત પ્રેમીને 5 વર્ષની જેલની સજા ફટકારી છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)ની કર્મીના આપઘાત કેસમાં આરોપી પરણિત હોવા છતાં યુવતી સાથે પ્રેમસંબંધ રાખતો હતો. આરોપીને તેને આપઘાત માટે દુષ્પ્રેરિત કરવાના આરોપમાં દોષિત ઠરાવવામાં આવ્યો છે. સેક્ટર-26ની 25 વર્ષીય કોમલ રાવળ, જે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસમાં નોકરી કરતી હતી, સાથે સાથે ઋત્વિક સાથે ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો વ્યવસાય પણ કરતી હતી. 5 નવેમ્બર 2021ની રાત્રે કોમલે પોતાના રૂમમાં ગળેફાંસો ખાધો હતો. આરોપી યુવતીના ઘરે ગયો હતોકોમલ અને ઋત્વિક સાથે મળીને ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો વ્યવસાય પણ કરતાં હતાં. ઘટનાની રાત્રે સાડા બારેક વાગ્યે ઋત્વિકે કોમલના ઘરે ફોન કર્યો હતો, પરંતુ કોઈ જવાબ ન મળતા તે તરત જ ત્યાં દોડી ગયો હતો. રૂમનો દરવાજો તોડતા કોમલ સીલિંગ ફેન સાથે લટકેલી મળી હતી. આ પછી ઋત્વિક કોમલનો મોબાઈલ લઈને ત્યાંથી જતો રહ્યો હતો, જેનાથી શંકા વધુ મજબૂત થઈ હતી. કોર્ટમાં દલીલો અને પુરાવાસરકારી વકીલ જીગ્નેશ જોશીએ કોર્ટમાં દલીલ કરી હતી કે આરોપી પરણિત હોવા છતાં યુવતી સાથે પ્રેમસંબંધ રાખતો હતો. વળી, એક અકસ્માત સમયે બંનેના મોબાઈલનું લોકેશન એક જ સ્થળે હોવાના વૈજ્ઞાનિક પુરાવા પણ મળ્યા હતા. કોર્ટનો ચુકાદોજજ એચ.આઈ. ભટ્ટની કોર્ટે તમામ પુરાવાઓ અને દલીલોને ધ્યાનમાં રાખીને ઋત્વિક બીપીનકુમાર ઠક્કરને 5 વર્ષની કેદની સજા ફટકારી છે. સાથે જ રૂ. 27 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 6:40 pm

વડોદરાના સમાચાર:માધવપુરના મેળાની પ્રિ પ્રોમોશનલ ઇવેન્ટમાં 9 રાજ્યના 400 કલાકારનો ભવ્ય કાર્યક્રમ યોજાશે, વડસરમાં નવચંડી યજ્ઞમાં 14 દંપતીઓએ ભાગ લીધો

વડોદરા શહેરના વડસર વિસ્તારમાં આવેલ વલ્લભ રેસિડેન્સીમાં ચૈત્રી નવરાત્રિના પ્રથમ નોરતે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 14 દંપતીએ આ યજ્ઞનો લાભ લીધો હતો. નવચંડી યજ્ઞ બાદ સોસાયટીમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 300થી વધુ ભાવિક ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો. 9 રાજ્યના 400 કલાકારનો ભવ્ય કાર્યક્રમ યોજાશેભગવાન શ્રી કૃષ્ણના વિવાહના આ પવિત્ર ઉત્સવ એટલે પોરબંદરમાં યોજાતા માધવપુરના મેળાનો મહિમા રાજ્યના તમામ લોકો સુધી પહોંચે તે માટે પ્રવાસન વિભાગ દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વડોદરા સ્થિત અકોટા સ્ટેડિયમ ખાતે પ્રિ-પ્રમોશનલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાત સહિત અન્ય આઠ રાજ્યના 400થી વધુ કલાકારો પોતાના રાજ્યના પરંપરાગત લોક નૃત્યો પ્રસ્તુત કરવાના છે. કાર્યક્રમમાં વિશેષ રૂપે ઉત્તરપૂર્વના અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા અને સિક્કિમના કુલ 213 કલાકારો વિશેષ રૂપે જોડાવાના છે. જેમાં આસામના કલાકારો ડાઓશ્રી દેલાઇ અને બીહૂ નાચ, મણિપુરના કલાકારો તેમના પરંપરાગત વાજિંત્રો સાથે પુંગ ઢોલ ઢોલક ચોલોમ, મેઘાલયના કોચ આદિવાસી કલાકારો હોકો નૃત્ય, મિઝોરમના પાવી સમુદાયના લોકો પરંપરાગત લોકનૃત્ય ચાનગ્લેઝાન, નાગાલેન્ડની સંગતમ આદિવાસી સમુદાયના લોકો દ્વારા પોતાના સાંસ્કૃતિક વારસાને દર્શાવતા 'મકુ હે નીચી' નામના યુદ્ધ નૃત્ય, ત્રિપુરાના કલોઇ આદિવાસી સમુદાયના કલાકારો મમિતા નૃત્ય અને સિક્કિમના કલાકારો નેપાળના પરંપરાગત નૃત્ય ચુટકી થકી પોતાની આગવી સંસ્કૃતિ અને વારસાના દર્શન કરાવશે. જ્યારે ગુજરાત રાજ્યના 11 કળા વૃંદના કુલ 200 કલાકારો ગુજરાતના પ્રસિદ્ધ લોક નૃત્યોની રમઝટ બોલવાના છે. જેમાં ગાંધીનગરના કલાકાર મિત્તલ નાઈ અને પોરબંદરના હરેશ ગઢવીનું ગ્રુપ મિશ્ર રાસ રજૂ કરશે. જ્યારે સુરેન્દ્રનગરના હિતેશ ડાંગરનું ગ્રુપ રાસ, મોરબીના રવિરાજનું ગ્રુપ ગરબો, પોરબંદરના લખણશી ઓડેદરાનું ગ્રુપ ઢાલ તલવાર રાસ, સુરેન્દ્રનગરના યોગેશ પાટડિયાનું ગ્રુપ હુડો રાસ અને પોરબંદરના રાણાભાઇ સીડાનું ગ્રુપ મણિયારો રાસ રજૂ કરશે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 6:35 pm

લીમડીમાં કાર એક્સચેન્જના નામે છેતરપિંડી:જૂની ગાડીના બદલામાં નવી આપવાની લાલચ આપી 4 લાખની ગાડી લઈ ગયો, આરોપી ઝડપાયો

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં કાર એક્સચેન્જના નામે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. લીમડી પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને તેની પાસેથી બે ફોર વ્હીલર ગાડી કબજે કરી છે. લીમડી નગરના લક્ષ્મણભાઈ મગનભાઈ મોરીએ 22 માર્ચના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું કે, દાહોદ શહેરના સહકાર નગર સોસાયટીમાં રહેતા દિવ્યેશ સતિષભાઈ સાધુએ તેમની સાથે છેતરપિંડી કરી છે. આરોપીએ ફરિયાદીની 4 લાખની કિંમતની જૂની ગાડી લીધી હતી. તેના બદલામાં નવી ગાડી આપવાનું વચન આપ્યું હતું. પરંતુ લાંબા સમય સુધી નવી ગાડી ન આપી વિશ્વાસઘાત કર્યો હતો. ફરિયાદના આધારે લીમડી પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે આરોપી દિવ્યેશ સાધુને તેના આશ્રયસ્થાનેથી ઝડપી પાડ્યો છે. તેની પાસેથી કુલ 7 લાખની કિંમતની બે ફોર વ્હીલર ગાડી કબજે કરવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 6:30 pm

મનપાને ટેક્સની રેકોર્ડબ્રેક 412 કરોડની આવક:રાજકોટમાં ગત વર્ષ કરતા આ વર્ષે 46.88 કરોડ વધારે આવક નોંધાઈ, 50% વસૂલાત ઓનલાઈન થઈ

રાજકોટ મનપાના અત્યાર સુધીના ઇતિહાસમાં ટેક્સની રેકોર્ડબ્રેક 412.10 કરોડની આવક થઈ છે. ગતવર્ષની તુલનાએ રૂ. 46.88 કરોડ વધુ આવક નોંધાઈ છે. જેમાં પણ 50% જેટલી એટલે કે રૂ. 205 કરોડની વસૂલાત ઓનલાઈન થઈ છે. જ્યારે બાકીની રકમ ઓફલાઇન વસૂલ કરવામાં આવી છે. મનપાના વેરા વિભાગ દ્વારા આ માટે 1471 મિલકતો સીલ કરવામાં આવી હતી. અને 8,000 કરતા વધુ મિલકતોને જપ્તીની નોટિસ આપવામાં આવી હતી. મિલકત વેરાની સાથે-સાથે પ્રોફેશનલ ટેક્સ અને થિયેટર ટેક્સની આવકમાં પણ વધારો નોંધાયો છે. રાજકોટ મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર, વેરા વસૂલાત શાખા દ્વારા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ સઘન કામગીરી કરવામાં આવી હતી. જેને લઈને નાણાકીય વર્ષ 2024-25 માટે મિલકત વેરાના રૂ. 410 કરોડના લક્ષ્યાંક સામે ગઈકાલે પુરા થતા વર્ષે રાત્રે 12 વાગ્યા સુધીમાં કુલ રૂ. 412.10 કરોડની અત્યાર સુધીની ઓલટાઈમ હાઈ વસૂલાત કરી છે. વેરા વસૂલાત શાખાની આ કામગીરીના માધ્યમથી મનપાની રાજકોષીય નીતિને વધુ સુદ્રઢ કરવાની સાથે ગુજરાતની તમામ મનપામાં અગ્રિમ હરોળનું સ્થાન મેળવવા આગેકૂચ કરવામાં આવી છે. વેરા વસૂલાતની વર્ષ 2024-25ની કામગીરી વ્યવસાય વેરા વિભાગઅન્ય કર સેલ દ્વારા નાણાકીય વર્ષ 2024-25 માં નિયત કરવામાં આવેલા વ્યવસાય વેરા વિભાગના રૂ. 32 કરોડના ટાર્ગેટ સામે રૂ. 32.06 કરોડની વસૂલાત થઈ છે. જે ગત નાણાકીય વર્ષની રૂ. 28.86 કરોડની આવક કરતા કુલ રૂ. 3.20 કરોડ વધુ છે. થીયેટર ટેક્સઅન્ય કર સેલ દ્વારા નાણાકીય વર્ષ 2024-25 માં નિયત કરવામાં આવેલ થીયેટર ટેક્સના રૂ. 10 લાખના ટાર્ગેટ સામે રૂ. 11.44 લાખની વસૂલાત થઈ છે. ગત નાણાકીય વર્ષની રૂ. 8.15 લાખની આવક કરતા કુલ રૂ. 3.29 લાખ વધુ છે. વાહન વેરોઅન્ય કર સેલ દ્વારા નાણાકીય વર્ષ 2024-25માં નિયત કરવામાં આવેલ વાહન વેરાના રૂ. 28 કરોડના ટાર્ગેટ સામે રૂ. 26.92 કરોડની વસૂલાત થઈ છે. ગત નાણાકીય વર્ષમાં આવક રૂ. 30.19 કરોડ થઈ છે. જોકે, વર્ષ 2024-25માં કુલ 49,089 વાહનોની નોંધણી થઈ હતી અને વર્ષ 2023-24માં 47,736 વાહનોની નોંધણી થઇ હતી.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 6:28 pm

ખેલ મહાકુંભ 3.0માં પોલીસ અધિકારીની સફળતા:દેવભૂમિ દ્વારકાના DYSP કેતન પારેખે લોન ટેનિસમાં જીત્યો રજત ચંદ્રક

ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર સચિવાલય ખાતે આયોજિત ખેલ મહાકુંભ 3.0માં દેવભૂમિ દ્વારકાના ડીવાયએસપી કેતન પારેખે નવી સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે લોન ટેનિસની 40 વર્ષ ઉપરની મિશ્રિત યુગલ કેટેગરીમાં જામનગરના રાજવી મારુ સાથે મળીને રજત ચંદ્રક જીત્યો છે. આ બંને ખેલાડીઓએ પ્રથમ વખત સાથે રમતા હોવા છતાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. કેતન પારેખની આ સિદ્ધિ બદલ પોલિસ ટીમ અને શુભેચ્છકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. કેતન પારેખની રમત ક્ષેત્રે આ પહેલી સિદ્ધિ નથી. તેમણે ફેબ્રુઆરી 2016માં દિલ્હી ખાતે નેશનલ પોલીસ ગેમ્સમાં બે સુવર્ણ અને એક કાંસ્ય ચંદ્રક મેળવ્યા હતા. તેમની પાસે 45થી વધુ સિંગલ્સ રમતમાં રજત ચંદ્રક છે. 1996માં રાજકોટ જિલ્લા માટે રમતગમત ક્ષેત્રે અસાધારણ યોગદાન બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. 1996થી 2015 સુધીમાં તેમણે લોન ટેનિસમાં 9 સિંગલ્સ, 10 ડબલ્સ અને એક ફેમિલી ડબલ્સ ટાઇટલ જીત્યા છે. આજે તેઓ લોન ટેનિસના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ જાણીતા છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 6:14 pm

પાટણ સખી વન સ્ટોપ સેન્ટરની મોટી સફળતા:એક વર્ષમાં 307 પીડિત મહિલાઓને ન્યાય મળ્યો, 155 મહિલાઓને આશ્રય અપાયો

પાટણ જિલ્લામાં મહિલાઓ માટે ધારપુર સિવિલમાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરે મહિલા સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ કામગીરી કરી છે. આ સેન્ટર 24 કલાક કાર્યરત રહે છે. જિલ્લા મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ કાર્યરત આ સેન્ટર એક જ છત નીચે પાંચ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે. છેલ્લા એક વર્ષમાં સેન્ટરે 307 પીડિત મહિલાઓને મદદ કરી છે. આ મહિલાઓમાં ઘરેલુ હિંસા, પ્રેમ પ્રકરણ, ગુમ થયેલ મહિલા, શારીરિક-માનસિક અને જાતીય હિંસાના કેસોનો સમાવેશ થાય છે. 163 મહિલાઓ સ્વયં સેન્ટર પર પહોંચી હતી. 41 મહિલાઓને અભયમ હેલ્પલાઇન દ્વારા, 50 મહિલાઓને પોલીસ સ્ટેશન દ્વારા, અને અન્ય મહિલાઓને વિવિધ સંસ્થાઓ દ્વારા મદદ મળી હતી. સેન્ટરે 36 માનસિક અસ્વસ્થ મહિલાઓને તબીબી સારવાર આપી તેમનું પરિવાર સાથે પુનઃસ્થાપન કર્યું છે. 155 મહિલાઓને આશ્રય આપવામાં આવ્યો છે. સેન્ટર દ્વારા કાયદાકીય સહાય, તબીબી સહાય, પોલીસ સહાય, આશ્રય અને મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગની સેવાઓ આપવામાં આવે છે. સેન્ટર લગ્ન પહેલાં અને પછીનું કાઉન્સેલિંગ પણ કરે છે. મહિલા સુરક્ષા અને સલામતી માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. કોઈપણ મહિલા જો હિંસાનો ભોગ બને તો તે ખાનગી કે જાહેર સ્થળે હોય, સખી વન સ્ટોપ સેન્ટરની સેવાઓનો લાભ લઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 6:12 pm

આણંદ મહાનગરપાલિકાને ત્રણ મહિનામાં રેકોર્ડ આવક:રૂ. 9.77 કરોડની આવક, રજાના દિવસે પણ નાગરિકોએ 85 લાખનો વેરો ભર્યો

આણંદ મહાનગરપાલિકાએ નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રણ મહિનામાં નોંધપાત્ર આવક નોંધાવી છે. મહાનગરપાલિકાને કુલ રૂ. 9.77 કરોડની આવક થઈ છે. આ આવકમાં આણંદ શહેરી વિસ્તારમાંથી સૌથી વધુ રૂ. 6.91 કરોડની આવક થઈ છે. વિદ્યાનગરમાંથી રૂ. 1.20 કરોડ અને કરમસદમાંથી રૂ. 1.23 કરોડની આવક નોંધાઈ છે. નાના વિસ્તારોમાં લાંભવેલથી રૂ. 10.54 લાખ, મોગરીથી રૂ. 8.33 લાખ, ગામડીથી રૂ. 8.98 લાખ અને જીટોડીયાથી રૂ. 13.45 લાખની આવક થઈ છે. ખાસ નોંધનીય બાબત એ છે કે મહાનગરપાલિકાએ 30 માર્ચ (રવિવાર) અને 31 માર્ચ (રમજાન ઈદ)ના રોજ જાહેર રજા હોવા છતાં કચેરી ખુલ્લી રાખી હતી. આ બે દિવસમાં નાગરિકોએ રૂ. 85.36 લાખનો વેરો જમા કરાવ્યો હતો. નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ વર્ષમાં મહાનગરપાલિકાની કુલ આવક રૂ. 35.59 કરોડ નોંધાઈ છે. આમાં આણંદમાંથી રૂ. 24.87 કરોડ, વિદ્યાનગરમાંથી રૂ. 5.5 કરોડ અને કરમસદમાંથી રૂ. 4.5 કરોડની આવક થઈ છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 6:09 pm

જામનગરમાં ગુરુવંદના સમારોહ:250થી વધુ પૂર્વ તાલીમાર્થીઓએ શિક્ષકોનું સન્માન કર્યું, મંત્રી રાઘવજી પટેલે વાગોળ્યા જૂના સંસ્મરણો

જામનગર ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા ભવ્ય ગુરુવંદના અને સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં 250થી વધુ પૂર્વ તાલીમાર્થીઓએ ભાગ લીધો. સરકારી અધ્યાપન વિદ્યા મંદિર, ધ્રોલ (1960-1995) અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જામનગર (1995-2015)ના પૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસકાળના સંસ્મરણો વાગોળ્યા. 29 માર્ચે હરિદેવ ગઢવી દ્વારા સંચાલિત લોક ડાયરાનું આયોજન કરાયું. તમામ પૂર્વ તાલીમાર્થીઓએ ગરબા રમીને આનંદ માણ્યો. કાર્યક્રમમાં મંત્રીએ પોતાના પી.ટી.સી.ના દિવસોની યાદો તાજી કરી. તેમણે જણાવ્યું કે શિક્ષક ન બની શક્યાનો અફસોસ છે, પરંતુ શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપીને પોતાના અંદરના શિક્ષકને જીવંત રાખ્યો છે. વિશિષ્ટ પ્રતિભાઓનું સન્માન કરાયું જેમાં રાઘવજી પટેલ, રાજકોટના શિક્ષણાધિકારી દિક્ષિત પટેલ, રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા ભારતસિંહ રાઠવા અને વિમલ નકુમનો સમાવેશ થયો. 1960થી 2015 સુધીના પૂર્વ પ્રાચાર્ય અને પ્રાધ્યાપકોનું પણ શાલ અને મોમેન્ટો આપી સન્માન કરાયું. આર.એચ.ચૌહાણથી લઈને જી.એન.પોંકિયા સુધીના તમામ શિક્ષકોએ પોતાના સંસ્મરણો વાગોળ્યા. આ પ્રસંગે રાજકોટ ડી.પી.ઇ.ઓ. દીક્ષિત પટેલ, ડી.પી.ઇ.ઓ. જામનગર વિપુલ મહેતા, ડી.પી.ઇ.ઓ. દેવભૂમિ દ્વારકા મધુબેન ભટ્ટ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીની ફાલ્ગુનીબહેન પટેલ, ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા બહોળી સંખ્યામાં ભૂતપૂર્વ તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમનાં માર્ગદર્શક તરીકે પ્રફુલ્લબા જાડેજા અને કન્વીનર તરીકે ચંદ્રકાંત ખાખરીયા તેમજ આયોજક સમિતિમાં સભ્ય તરીકે પરેશ અજુડિયા, રાજેશ ભેંસદડિયા, અમિત સોની, વિમલ નકુમ, ડેનિશ ઘેટીયા અને ચિરાગ સચાણિયા જોડાયા અને સમગ્ર કાર્યક્રમની સફળતામાં ડાયેટ જામનગરના સ્ટાફે પણ પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 6:04 pm

માનવતાની મિસાલ:એસટી કંડક્ટરે બસમાં મળેલા રોકડા 7000 રૂપિયા અને દસ્તાવેજો મૂળ માલિકને પરત કર્યા

સમાજમાં પ્રામાણિકતા અને માનવતા હજુ જીવંત છે તેનું ઉત્તમ ઉદાહરણ સુરેન્દ્રનગર એસટી ડેપોના કંડક્ટર અશોક મોટકાએ પૂરું પાડ્યું છે. લખતરના વતની વિરમગામથી સુરેન્દ્રનગર રૂટ પર ફરજ બજાવી રહ્યા હતા. બસમાંથી તેમને 7,000 રૂપિયા રોકડા અને કેટલાક મહત્વના દસ્તાવેજો મળ્યા હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે આ રકમ અને દસ્તાવેજો કચ્છના મોટી ચિરાઈ પાસેના જેશડા ગામના પાલા રબારીના છે. પાલાભાઈ રામછાપરીથી બાબાજીપરા જતી વખતે બસમાં આ વસ્તુઓ ભૂલી ગયા હતા. અશોકભાઈએ તરત જ પાલાભાઈનો સંપર્ક કર્યો અને તેમને વિરમગામ એસટી ડેપો બોલાવ્યા. ફરજ પરના ટીસી અમીનભાઈની હાજરીમાં તેમણે બધી વસ્તુઓ પાલાભાઈને સુપરત કરી. પોતાની રકમ અને દસ્તાવેજો પાછા મેળવીને ભાવુક બનેલા પાલાભાઈએ અશોકભાઈની પ્રામાણિકતાની ભરપૂર પ્રશંસા કરી અને તેમનો આભાર માન્યો.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 5:59 pm

ડીસામાં 21 મોતથી હાહાકાર:મૃતકોને ઓળખવા મુશ્કેલ, એપ્રિલમાં 10 દિવસ ગરમી ભુક્કા બોલાવશે, 4 દિવસથી ગૂમ દીકરો મળતાં પરિવાર ભાવુક

ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં આગથી 18નાં મોત ડીસાના ઢૂંવા રોડ પર આવેલી ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગથી 18 લોકોના મોત નીપજ્યાં.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મૃતકોને 4 લાખ અને ઘાયલોને 50 હજારની સહાયની જાહેરાત કરી. ઘટના બાદથી ફેક્ટરી માલિક ફરાર છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો કંઈ ખબર જ ન પડી ક્યારે શું થયું ફેક્ટરીમાં લાગેલી આગમાંથી બચેલા 2 મજૂરોએ હોસ્પિટલના બિછાનેથી ભાસ્કરને પોતાની આપવીતી જણાવી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો કાયમી ભરતી સાથે વ્યાયામ શિક્ષકોનો હલ્લાબોલ ગાંધીનગરમાં કાયમી ભરતીની માગ સાથે વ્યાયામના શિક્ષકોએ હલ્લાબોલ કર્યો. પોલીસ સાથે ઘર્ષણમાં બે શિક્ષકને ઈજા પહોંચી જેમને હોસ્પિટલ ખસેડાયા, તો અન્યને ખેંચી ખેંચીને વાનમાં બેસાડ્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્રનું કારસ્તાન જામનગરના રણજીતનગર વિસ્તારમાં નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્રએ એસી બસમાં દેહવ્યાપાર ચલાવ્યો. મિની ટ્રાવેલરમાં રાજસ્થાની યુવતી પાસે આ કામ કરાવતો.પોલીસે આરોપી અશોકસિંહ ઝાલાની અટકાયત કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો દ્વારકાની યાત્રાએ જતા બચાવ્યા નિર્દોષ પક્ષીઓ દ્વારકાની પદયાત્રાના પાંચમાં દિવસે અનંત અંબાણીએ 250 જેટલાં પક્ષીઓને કતલખાને જતા બચાવ્યા.. 10 એપ્રિલે અનંત પોતાનો જન્મદિવસ દ્વારકામાં ઉજવશે.તેમણે અત્યાર સુધીમાં 50 કિમીનું અંતર કાપી લીધુ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો 4 દિવસથી ગુમ દીકરો મળતા પરિવાર ભાવુક સુરતમાં ઈદના પર્વ પર જ ગુમ થયેલો પુત્ર મળી આવતા પરિવાર ભાવુક થયો. પોલીસે 4 દિવસથી ગુમ સગીરનું પરિવાર સાથે મિલન કરાવ્યું, પાલક માતા પુત્રને ભેટીને રડી પડી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો રાણા સાંગા સામેની ટિપ્પણીથી ક્ષત્રિયો રોષે સપાના રાજ્યસભાના સાંસદ રામજીલાલ સુમને રાણા સાંગા વિરુધ્ધ કરેલી ટિપ્પણીથી ક્ષત્રિયો રોષે ભરાયા . ક્ષત્રિયોએ સમાજનું અપમાન કરનારા સામે સજાનો કાયદો ઘડવા માગ કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો શેમ્પૂ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલી શેમ્પૂ બનાવતી ફેક્ટરીમાં વિકરાળ આગ લાગી..ફોમનો મારો ચલાવી 80 ટકા આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. આગમાં બે વાહનો ભસ્મીભૂત થયા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો જન્મ તારીખ સુધારવા કચેરીએ નહીં જવું પડે હવે ડ્રાઈવીંગ લાઈસન્સમાં જન્મતારીખ સુધારવા આરટીઓનો ધક્કો નહીં ખાવો પડે..ઘરે બેઠા 14 સ્ટેપ્સમાં ઓનલાઈન સુધારો કરી શકાશે.. 200 રૂપિયા ચૂકવતા જ સુધારા સાથેનું લાઈસન્સ ઘરે આવી જશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો એપ્રિલના 10 દિવસ રાજ્ય માટે ભારે રાજ્ય માથે મંડરાયો ડબલ ખતરો..17 જિલ્લામાં વરસાદ મંડરાયો તો સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવનું જોખમ છે. એપ્રિલના 10 દિવસ રાજ્ય માટે ભારે રહેશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 5:59 pm

અમરેલીમાં ગુનેગારો સામે પોલીસની કાર્યવાહી:બગસરામાં 15 ગુના ધરાવતા આરોપીનું દબાણ તોડ્યું, જેતપુર રોડ પરની હોટલ પણ તોડી પડાઈ

અમરેલી જિલ્લા પોલીસે અસામાજિક તત્વો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ વડા વિકાસ સહાયના આદેશ બાદ જિલ્લામાં SP સંજય ખરાત દ્વારા 113 ગુનેગાર તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે. બગસરા શહેરમાં અમરેલી રોડ પર જામકો આઈટીઆઈ બિલ્ડીંગ વિસ્તારમાં આદમભાઇ ઉર્ફે મહમદ ઉર્ફે વાદરીએ સરકારી જમીન પર કરેલું દબાણ દૂર કરવામાં આવ્યું છે. આ વ્યક્તિ સામે 15 જેટલા ગુના નોંધાયેલા છે. બગસરા PI મુકેશ સાલુકેની ટીમે બુલડોઝર સાથે પહોંચી દબાણ દૂર કર્યું હતું. આ ઉપરાંત, જેતપુર રોડ પર આવેલી 'સખી' નામની હોટલ પણ સરકારી જમીન પર બનાવવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા અગાઉ નોટિસ આપ્યા બાદ આજે પોલીસની હાજરીમાં JCB દ્વારા હોટલનું ડિમોલિશન કરવામાં આવ્યું. અમરેલી જિલ્લાના 20 પોલીસ સ્ટેશન વિસ્તારમાં હિસ્ટ્રીશીટરોની ક્રાઈમ કુંડળી તૈયાર કરવામાં આવી રહી છે. એલસીબી, સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ સ્ટેશનો દ્વારા ગુન્હેગારો પર નજર રાખવામાં આવી રહી છે. SP દ્વારા તોફાની તત્વો સામે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 5:57 pm

2024-25માં ગુજરાતની GST આવકમાં 14%નો વધારો:માર્ચ 2025માં GST થકી રાજ્યને ₹6,193 કરોડની આવક થઈ, એમનેસ્ટી સ્કીમને કરદાતાઓનો સારો પ્રતિસાદ મળ્યો

નાણાકીય વર્ષ 2024-25માં રાજ્ય કર વિભાગે GST હેઠળ ₹73,281 કરોડની આવક નોંધાવી છે, જે અગાઉના નાણાકીય વર્ષ 2023-24માં થયેલી ₹64,133 કરોડની આવક કરતાં 14% વધુ છે. રાષ્ટ્રીય સ્તરે GST આવકનો વૃદ્ધિ દર 9.4% રહ્યો છે, જેની સામે રાજ્યના આંકડાઓ વધુ પ્રભાવશાળી છે. રાજ્યે નાણાકીય વર્ષ 2024-25માં વિવિધ કર માધ્યમો દ્વારા આવક મેળવી છે: આમ GST, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી રાજ્યની કુલ આવક ₹1,19,178 કરોડ સુધી પહોંચી છે. માર્ચ 2025માં કુલ આવક ₹10,335 કરોડમાર્ચ 2025માં રાજ્યને વિવિધ કર માધ્યમો દ્વારા કુલ ₹10,335 કરોડની આવક થઈ છે, જેમાં એમનેસ્ટી સ્કીમને કરદાતાઓનો સારો પ્રતિસાદજીએસટી હેઠળ જાહેર કરાયેલી એમનેસ્ટી સ્કીમને કરદાતાઓ તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે. આ સ્કીમ હેઠળ 4,120 વિવાદ અરજીઓ પરત ખેંચવામાં આવી છે, જેમાં રૂ.583 કરોડનું માંગણું સામેલ હતું. 10,211 કેસોમાં કરદાતાઓએ ફક્ત વેરાની રકમ ભરીને યોજનાનો લાભ લીધો છે. આ અંતર્ગત રૂ.273 કરોડનો વેરો ભરવામાં આવ્યો છે. આ સાથે અંદાજિત રૂ.479 કરોડના વ્યાજ અને દંડની માફીનો લાભ મળ્યો છે. રાજ્યના આર્થિક વિકાસમાં મજબૂત યોગદાનઆ આંકડાઓ રાજ્યના આર્થિક વિકાસ અને કરદાતાઓના સહકારને પ્રતિબિંબિત કરે છે. જીએસટી અને અન્ય કર માધ્યમોમાં નોંધાયેલ વૃદ્ધિ રાજ્યની નાણાકીય સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 5:57 pm

નિરમા યુનિવર્સિટીમાં સિન્ટિલા'25નું ભવ્ય આયોજન:ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગની બે દિવસીય ટેકફેસ્ટમાં 7 રોમાંચક ઇવેન્ટ્સ

નિરમા યુનિવર્સિટીના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ એસોસિએશન (EESA) દ્વારા 29 અને 30 માર્ચ 2025ના રોજ સિન્ટિલા'25નું આયોજન કરવામાં આવ્યું છે. 'ઇનોવર્સ: એક્સપ્લોરિંગ બિયોન્ડ ઇલેક્ટ્રિકલ' થીમ સાથે યોજાનારી આ 10મી વાર્ષિક સિગ્નેચર ઇવેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત પરંપરાગત દીપ પ્રાગટ્યથી થઈ. કોસોલ એનર્જીના ડાયરેક્ટર શ્રી કયન કલથિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)ના SER નિયામક શ્રી સંજીવ મહેતા ગેસ્ટ ઓફ ઓનર હતા. કોસોલ એનર્જીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી કલ્પેશ કલથિયા વિશેષ અતિથિ તરીકે જોડાયા. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગના વડા ડૉ. સિદ્ધાર્થસિંહ કે. ચૌહાણે કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી. ટેક્નોલોજી અને એન્જિનિયરિંગ ફેકલ્ટીના ડીન પ્રો. (ડૉ) રાજેશ એન. પટેલની ઉપસ્થિતિમાં સમારોહ યોજાયો. બે દિવસીય કાર્યક્રમમાં સાત મુખ્ય ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. AI લોડ આગાહી સ્પર્ધા 'GridEye', ડ્રોન પાયલોટિંગ વર્કશોપ 'નિમ્બસ નેવિગેટર', રિમોટ-કંટ્રોલ કાર સ્પર્ધા 'ફોર્મ્યુલા NU', AR આધારિત 'ટાઈમ હીસ્ટ', ઇલેક્ટ્રિકલ લુડો ગેમ 'બોલ્ટ એન બોર્ડ', સંસદીય સત્ર 'યુવા વાણી' અને ઓનલાઈન ટ્રેડિંગ ઇવેન્ટ 'ધ કેપિટલ ક્લેશ'નો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 5:37 pm

બંધારણના 75 વર્ષની ઉજવણી:એચ.એ. કોલેજમાં વિદ્યાર્થીઓને બંધારણની ગરિમા સમજાવાઈ

એચ.એ. કોલેજ ઓફ કોમર્સમાં ભારતીય બંધારણના અમલીકરણના 75 વર્ષની ઉજવણી અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સર એલ.એ. શાહ લો કોલેજના પ્રિન્સિપાલ ઋષિકેશ મહેતાએ મુખ્ય વક્તા તરીકે હાજરી આપી હતી. પ્રિન્સિપાલ મહેતાએ સ્વાતંત્ર્યની શતાબ્દી (2047)માં પ્રજાસત્તાક ભારતના બંધારણની ગરિમા વિષય પર વક્તવ્ય આપ્યું હતું. તેમણે વિકસિત ભારત 2047ના સંદર્ભમાં ચાર મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. આ મુદ્દાઓમાં યુવાવર્ગનું ઉત્થાન, ગરીબોનું કલ્યાણ, મહિલા સશક્તિકરણ અને ખેડૂતોનો વિકાસ સામેલ છે. કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે ભારતીય બંધારણની વિશેષતાઓ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે આપણું બંધારણ લોકશાહી, સમાજવાદ અને બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતો પર આધારિત છે. તેઓએ ભારતીય બંધારણને વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ ગણાવ્યું, જે દરેક નાગરિકને સમાન અધિકારો અને તકો પ્રદાન કરે છે. કાર્યક્રમનું સફળ આયોજન પ્રા. મહેશ સોનારા અને પ્રા. હર્ષા રામાણીએ કર્યું હતું. આ કાર્યક્રમમાં 200થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 5:35 pm

નવસારીના વેસ્મા-મરોલી રોડ પર અકસ્માત:ટોલટેક્સ બચાવવા આંતરિક માર્ગે જતાં ટ્રકે મોપેડને અડફેટે લીધું, મોપેડ ચાલકને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે. વેસ્મા-મરોલી મુખ્ય માર્ગ પર ડાભેલ ગામ નજીક ટ્રક અને મોપેડ વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે નેશનલ હાઇવે પરથી સુરત તરફ જતા ભારે વાહનો ટોલટેક્સ બચાવવાના ઈરાદે આંતરિક રસ્તાનો ઉપયોગ કરી રહ્યા હતા. આ દરમિયાન ટ્રક ચાલકે મોપેડ ચાલકને અડફેટે લીધો હતો. અકસ્માતમાં મોપેડ ચાલકને ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં મરોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 5:31 pm

15 વર્ષની સગીરાનો પીછો કરનારની ધરપકડ:સાબીર વિદ્યાર્થિનીનો સ્કૂલે જતા પીછો કરી વાત કરવા દબાણ કરતો, અગાઉ પણ છેડછાડ કરી હતી

સુરતના ડિંડોલી વિસ્તારમાં 15 વર્ષની સગીરાનો પીછો કરીને છેડછાડ કરનાર મોહમ્મદ સાબીર નફીસ કુરેશીની ડિંડોલી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી છેલ્લા કેટલાક સમયથી સગીરાનો સ્કૂલે જતા પીછો કરી તેને વાત કરવા દબાણ કરી રહ્યો હતો. અગાઉ પણ કરી હતી છેડછાડ, મકાન ખાલી કરાવવું પડ્યુંઆ આરોપી અગાઉ પણ સગીરાનો પીછો કરીને પરેશાન કરતો હતો. તે સમયે સગીરાના માતા-પિતાએ તેની પરિવારને જાણ કરતા મકાન માલિકે સાબીરના પરિવારને મકાન ખાલી કરાવ્યું હતું. છતાં પણ તે નહીં સુધરતા, હાલ નવાગામ-ડિંડોલી હરિહરનગરમાં રહેતા સાબીરે ફરી સગીરાને પરેશાન કરવા શરૂ કર્યું. સોસાયટીમાં પણ ફરતો હતો, આખરે પોલીસ ફરિયાદસાબીરે છેલ્લા ત્રણ-ચાર દિવસથી સ્કૂલે જતા સગીરાનો પીછો કરીને વાત કરવા દબાણ કરતો હતો. એટલું જ નહીં, સોસાયટીમાં પણ ગેરકાયદેસર રીતે ભટકતો હતો, જેના કારણે સગીરાની માતાએ ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઝડપથી કાર્યવાહી કરીફરિયાદ બાદ ડિંડોલી પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી અને મોહમ્મદ સાબીર નફીસ કુરેશીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ કેસની વધુ તપાસ પીએસઆઈ એસ.એચ. મિસ્ત્રી કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 5:28 pm

મહીસાગર નદીમાંથી રેતી ચોરીનો મુદ્દો:NCPના જયંત પટેલે CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી કડક કાર્યવાહીની માગ કરી

આણંદ જિલ્લામાં ખનિજ માફિયાઓની બેફામ પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવાની માંગ ઊઠી છે. નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રદેશ પ્રમુખ અને ઉમરેઠના પૂર્વ ધારાસભ્ય જયંત પટેલ (બોસ્કી)એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. પત્રમાં જણાવ્યા મુજબ, મહીસાગર નદી કિનારાના ગામોમાં મોટા પ્રમાણમાં રેતી ચોરી થઈ રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે ડમ્પરો દ્વારા ગેરકાયદેસર રીતે રેતીની હેરફેર થાય છે. મોટાભાગના ડમ્પરો નંબર પ્લેટ વગરના હોય છે. રેતી ભરેલા વાહનો પર તાડપત્રી પણ ઢાંકવામાં આવતી નથી. આના કારણે રસ્તા પર રેતી ઊડે છે અને અન્ય વાહન ચાલકોને મુશ્કેલી પડે છે. વારંવાર ભારે વાહનોની અવરજવરથી રસ્તાઓને નુકસાન થઈ રહ્યું છે. આનાથી નદી કિનારાના ગામવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. જયંત પટેલે આરોપ મૂક્યો છે કે સરકારી અધિકારીઓના મેળાપીપણાથી ઉમરેઠ અને આંકલાવ તાલુકાના ગામોમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ મોટા પ્રમાણમાં ચાલી રહી છે. તેમણે ખનિજ માફિયાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 5:25 pm

પારિવારિક ઝઘડામાં બહેને ભાઈને ધમકાવ્યો:માતા-પિતાને પોતાના વિરુદ્ધ ચઢામણી કરવાની ના પાડતા રોષે ભરાઈને કહ્યું- ‘કેસરીયામાં આવી તો જો, તારા ટુકડે-ટુકડા કરી નાખીશ’

વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં રહેતા યુવકે તેની બહેનને ફોન કરીને તુ મારા માતા-પિતાને કેમ ચઢામણી કરે? એવું કહ્યું હતું ત્યારે બહેને કહ્યું હતું કે, ગામ છોડીને આવી તો જો તને જાનથી મારી નાખી ટુકડા કરીને ફેંકી દઈશ. આ ઉપરાંત ખોટા-ખોટા આક્ષેપો પણ કર્યા હતા, જેથી ભાઈએ પોતાની બહેન વિરુદ્ધ જ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મારી નાની બહેન મારા વિશે માતા-પિતાને ચઢામણી કરે છેમૂળ બિહારના અને હાલમાં વડોદરા શહેરના અટલાદરા સ્વામિનારાયણ મંદિર પાસેની સોસાયટીમાં રહેતા રજનીશકુમાર જનકપ્રસાદ શ્રીવાસ્તવે આટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું કોરોના સમયે વર્ષ 2020થી નોકરી માટે વડોદરા ખાતે મારા ભાઈ સાથે રહેવા આવ્યો છું. મારી નાની બહેનના લગ્ન પંકજ શ્રીવાસ્તવ સાથે થયા છે પરંતુ, તે નાની-નાની બાબતે મારા માતા-પિતાને અમારા વિશે ચઢામણી કરે છે કે, પ્રવીશ અને રજનીશ તમારું ધ્યાન રાખતા નથી. તમારી સારસંભાળ રાખતા નથી તો તમારે માલ-મિલ્કતમાં ભાગ નહી આપવાનો તેમ કહીને મારા માતા-પિતાને ખોટી રીતે ચઢામણી કરે છે અને અમારી સાથે વાતચીત નહી કરવાનુ કહે છે. કોલ કરીને સમજાવતા બહેને અમારા પર ખોટા આક્ષેપ લગાવ્યાગત 19 માર્ચના રોજ મારા ભાઈ અને મારા જીજાજી પંકજ રાજ સાથે કોન્ફરન્સ કોલ પર મારી બહેન પ્રિયાને સમજાવવા કહ્યું હતું કે, તે અમારા ઘરના મામલામાં ના પડે. થોડી વાર પછી ફરી ભાઈના ફોન પર પ્રિયાએ ફોન કરીને અપશબ્દ બોલીને ધમકી આપી હતી અને 22 માર્ચના મે મારી બહેન પ્રિયાને તેના સસરાના મોબાઈલ ઉપર ફોન કરી તુ ખોટી રીતે પિતાજીને અમારા વિશે ચઢામણી ન કરે એવું કોલ પર સમજાવતા મારી બહેન પ્રિયાએ અમારી ઉપર ખોટા ખોટા આક્ષેપ કર્યા હતા. જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાવીપ્રિયાએ ખરાબ ગાળો બોલીને કહ્યું હતું કે, તું એક બાપની ઓલાદ હોય તો ગામ તો છોડીને કેસરીયામાં આવી તો જો હું તને જાનથી મારી નાખી તારા ટુકડે-ટુકડા કરી નાખીશ તેવી ધમકી આપી હતી અને તારા ભાભી સાથે આડા સબંધ છે. તે તારા આડા ધંધા બંધ કરી દેજે તેમ કહી મને ગમે તેમ બોલવા લાગી હતી. અટલાદરા પોલીસે ધમકી આપનાર બહેન વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 5:25 pm

હવામાન વિભાગની માવઠાની આગાહીથી ખેડૂતોમાં ચિંતા:પંચમહાલમાં વાદળછાયું વાતાવરણ, ખેડૂતોને પાક નુકસાનની આશંકા

પંચમહાલ જિલ્લા અને ગોધરા શહેરમાં આજે સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી બપોર સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. આ આગાહીને કારણે પંચમહાલ જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખેતરોમાં પાક તૈયાર થઈ રહ્યો છે. અચાનક વરસાદ આવે તો પાકને નુકસાન થવાની શક્યતા છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આવેલા આ વાતાવરણ પલટાથી સામાન્ય નાગરિકોને રાહત મળી છે. અવરજવર કરતા રાહદારીઓ અને વાહનચાલકો પણ રાહત અનુભવી રહ્યા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં હવામાનની સ્થિતિ પર નજર રાખવાની સલાહ આપી છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 5:25 pm

સૌરાષ્ટ્ર યુનિ.ના પરીક્ષા વિભાગમાં આજથી નો રિસેસ:એક્ઝામ ડિપાર્ટમેન્ટની 3માંથી 1 વિન્ડો બપોરના બ્રેકમાં ખુલ્લી રહી, વિદ્યાર્થીએ કહ્યું- 3 માસ બાદ પણ પરિણામ ન આવતા મૂશ્કેલી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ આજે નો રિસેસ સાથે કાર્યરત રહ્યો હતો. આજથી પરીક્ષા વિભાગની 3માંથી 1 બારી બપોરે 2થી 3 દરમિયાન પણ ખુલ્લી રહી હતી. જેનો યુનિવર્સિટી સંલગ્ન 5 જિલ્લાની કોલેજોના અંદાજે અઢી લાખ વિદ્યાર્થીઓને ફાયદો થયો છે. પરીક્ષા વિભાગ બપોરના બ્રેક દરમિયાન ખૂલ્લો રાખવાના નિર્ણયને આવકાર્યો હતો. જોકે, આ દરમિયાન જ્યાં ફી ભરવાની હોય છે તે કેશ બારી તો રિસેસ દરમિયાન બંધ હોવાથી નવી સમસ્યા ઊભી થઈ છે. જ્યારે અહીં આવેલા વિદ્યાર્થીએ માગ કરી છે કે, વિદ્યાર્થીઓની પરીક્ષાના પરિણામ સમયસર આપવામા આવે. બીકોમ સેમેસ્ટર-3ની પરીક્ષા ડિસેમ્બર 2024માં લેવામાં આવી હતી. જેના 3 માસ વીત્યા બાદ પણ પરિણામ આવ્યું નથી. જેથી મુશ્કેલી ઊભી થાય છે. આજથી પરીક્ષા વિભાગની બારી સવારે 10.45થી સાંજે 6 વાગ્યા સુધી કાર્યરત રહેશે. અહીં પરીક્ષા વિભાગને લગતા માર્કશીટ વેરીફીકેશન, ડિગ્રી વેરીફીકેશન, ડુપ્લીકેટ માર્કશીટ અને ટ્રાન્સક્રિપ્ટ સર્ટિફિકેટ સહિતના કામો માટે હવે વિદ્યાર્થીઓને રિસેસ દરમિયાન વેઇટિંગમાં બેસવું નહીં પડે. વિદ્યાર્થીઓને એક કલાક સુધી રાહ જોવી પડે છેવિદ્યાર્થી નેતા અંકિત સોંદરવાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં ઘણા સમયથી બપોરે 2થી 3 બ્રેક રાખવામાં આવે છે. જેથી ઘણા બધા વિદ્યાર્થીઓ જસદણ, ભાવનગર અને પાલીતાણા સહિતના બહારગામના વિસ્તારોમાંથી આવતા હોય છે તેઓને એક કલાક સુધી ત્યાં રાહ જોવી પડે છે. આ બાબતે વિદ્યાર્થીઓ દ્વારા મને રજૂઆત કરવામાં આવી હતી કે, જો બપોરે રિસેસ રાખવામાં ન આવે તો બહારગામથી આવતા વિદ્યાર્થીઓને પોતાના કામ સરળતાથી થઈ શકે અને તે કામ પૂર્ણ કરી તેઓ ફરી પોતાના વતન થઈ શકે. કેશ બારી બંધ રહેતા વેઇટિંગમાં બેસી રહેવું પડે છેઆ બાબતે અમારા દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને પરીક્ષા નિયામકને રજૂઆત કરવામાં આવી હતી અને ત્યાર બાદ હવે યુનિવર્સિટી દ્વારા પરીક્ષા વિભાગની બારીઓ દિવસભર શરૂ રાખવા માટે નિર્ણય કરવામાં આવ્યું છે તે ખૂબ જ આવકારદાયક છે. જોકે, હવે અન્ય સમસ્યા એ સામે આવી છે કે, 2થી 3 વાગ્યા સુધી પરીક્ષા વિભાગની 3માંથી 1 બારી ખૂલ્લી છે, પરંતુ કેશ બારી બંધ હોવાથી અહીં કામ પૂર્ણ થઈ જાય તો કેશ બારી પર વેઇટિંગમાં બેસી રહેવું પડે છે. જેથી કેશ બારી પણ રિસેસ દરમિયાન ખુલી રહે તેવી રજૂઆત કુલપતિ અને પરીક્ષા નિયામકને રજૂઆત કરવામાં આવશે. વિદ્યાર્થીઓના કામો પણ ઝડપથી થાયજ્યારે પીડીએમ કોલેજના બીકોમના વિદ્યાર્થી હર્ષ જોબનપુત્રાએ જણાવ્યું હતુ કે, ટ્રાન્સક્રિપ્ટ સર્ટિફિકેટ કઢાવવા માટે યુનિવર્સિટીએ આવ્યો છું. રિસેસ રબારી ખુલ્લી હોય તો સમય ઘણો બચી શકે અને વિદ્યાર્થીઓના કામો પણ ઝડપથી થાય. જોકે, પરીણામો વહેલાં આવે તે જરૂરી છે. બીકોમ સેમેસ્ટર-3ની ડિસેમ્બર 2024માં લેવામાં આવી હતી. હજૂ સુધી પરિણામ આવ્યુ નથી. અઢી લાખ વિદ્યાર્થીઓને ફાયદો થશેઆ બાબતે પરીક્ષા વિભાગના OSD નિલેશ સોનીએ જણાવ્યું હતું કે, હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા વિભાગની 3 બારીઓ સવારે 10.45થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લી હોય છે. જોકે, બપોરે 2થી 3 વાગ્યા સુધી બ્રેક હોય છે. પરંતુ હવે પરીક્ષા વિભાગ આજથી નો રિસેસ સાથે કામ કરી રહ્યો છે એટ્લે કે બપોરે 3માંથી 3 નંબરની બારી ખુલ્લી રાખવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓના પરીક્ષા વિભાગને લગતા કામો રિસેસ દરમિયાન પણ થઈ શકશે. સામાન્ય રીતે કેસ બારી બપોરે 4 વાગ્યે બંધ થઈ જતી હોય છે અને પરીક્ષા વિભાગની બારીમાં 2થી 3 રિસેસ હોય તો બાદમાં એક કલાકના સમયમાં પ્રક્રિયા પૂરી ન થાય તો ફી ભરી શકાતી નથી જેથી હવે પરીક્ષા વિભાગની 3માંથી 1 બારી બપોરે રિસેસ દરમિયાન પણ ખુલ્લી રહેશે. જેનો અઢી લાખ વિદ્યાર્થીઓને ફાયદો થશે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 5:21 pm

રાજકોટમાં ફાયનાન્સ પેઢી સાથે 4.13 કરોડની છેતરપીંડી:યુનિવર્સિટી પોલીસે છેતરપીંડી, ફોર્જીંગ સહિતની કલમ હેઠળ 28 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

રાજકોટના શીતલ પાર્ક પાસે આવેલી ખાનગી બેંકમાં ₹4.13 કરોડની જંગી છેતરપિંડી બહાર આવતા શહેરમાં ખળભળાટ મચી ગયો છે. રાજકોટ યુનિવર્સિટી પોલીસે કંપનીના ત્રણ કર્મચારીઓ અને 25 ગ્રાહકો સહિત 28 વ્યક્તિઓ સામે છેતરપિંડી, બનાવટી અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. રાજકોટ, જામનગર, પડધરી, કાનગાશિયાળી, મહેસાણા અને અમદાવાદના ગ્રાહકો એક પણ હપ્તો ભર્યા વગર કરોડોની લોન મેળવવા માટે બનાવટી બિલ રજૂ કરવામાં સંડોવાયેલા હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે. કંપની સીક્યોર અને અનસીક્યોર બંને લોન પૂરી પાડે છેસુરતના પાલનપુર જકાતનાકા રોડ પર રહેતા ચંદ્રેશ મોટુમલ જોબનપુત્રા (ઉ.વ.30)એ આ ઘટના અંગે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે મુંબઈના અંધેરી ઈસ્ટમાં હેડક્વાર્ટર ધરાવતી મિન્ટીફી ફિનસર્વ નામની કંપનીમાં લીગલ મેનેજર તરીકે કામ કરે છે. કંપની સીક્યોર અને અનસીક્યોર બંને લોન પૂરી પાડે છે. મિન્ટીફી ફિનસર્વની રાજકોટ શાખા શિતલ પાર્ક ચોક પાસે આવેલ સ્પાયર-2, કચેરી નં.1324થી કાર્યરત છે. કંપની લોન મંજૂરીઓ માટે કડક પ્રક્રિયાને અનુસરે છે, જેમાં ગ્રાહકના સિબિલ સ્કોર, આવકવેરા રિટર્ન, પાછલા વર્ષના બેંક ટ્રાન્ઝેક્શન અને એસેટ વેલ્યુએશનની તપાસનો સમાવેશ થાય છે. સેલ્સ મેનેજર્સ, બ્રાન્ચ મેનેજર્સ અને થર્ડ પાર્ટી એજન્સી સ્ટાફ જેવા કર્મચારીઓ આ વિગતોની ખરાઈ કરવા માટે જવાબદાર છે. જો ગ્રાહક લાયક ઠરે તો જ લોન મંજૂર થાયજ્યારે ગ્રાહક લોન માટે અરજી કરે છે ત્યારે તેમના દસ્તાવેજો સેલ્સ મેનેજર દ્વારા ચકાસવામાં આવે છે. જો ગ્રાહક લાયક ઠરે, તો બ્રાન્ચ મેનેજર એપ્લિકેશનની સમીક્ષા કરે છે અને તેને વધુ નિરીક્ષણ માટે ફોરવર્ડ કરે છે. થર્ડ પાર્ટી એન્જિનિયર પ્રોપર્ટી કે મશીનરીનું ફિઝિકલ ઇન્સ્પેક્શન કરે છે અને જમા કરાવેલા રેકોર્ડની ચકાસણી કરે છે. ત્યારબાદ બ્રાન્ચ મેનેજર કંપનીને રિપોર્ટ સોંપે છે, જે તમામ માપદંડો પૂરા થાય તો લોન મંજૂર કરે છે. મોર્ટગેજ કરેલી મિલકતો અને મશીનરીનું સમયાંતરે નિરીક્ષણ પણ કરવામાં આવે છે. ત્રણેય કર્મચારીઓએ મસમોટું કમીશન મેળવવા ગ્રાહકો સાથે મળી કાવતરૂ રચ્યુંકંપનીમાં અમીત ધારેલીયા થર્ડ પાર્ટી ઈન્સ્પેકસન માટે કંપનીએ એગ્રીમેન્ટ કરેલ ફોર્મલીક એન્જિનિયરના કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા તેમજ હીતેન્દ્રસિંહ સુખદેવસિંહ ઝાલા રાજકોટ કંપનીમાં બ્રાન્ચ મેનેજર તરીકે અને આકાશ વ્યાસ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. ગઈ તા. 30.09.2023થી તા.30.06.2024 દરમ્યાન ગ્રાહકોએ કંપનીના ત્રણેય કર્મચારીઓ સાથે મળી અને પોતાની જરૂરિયાત મુજબની લોનની માંગણી કરતા રજૂ કરેલ રેકર્ડ આધારે લોન મળવા પાત્ર ન હોય તેમ છતા ગ્રાહકોને લોન અપાવી હતી. ત્રણેય કર્મચારીઓએ મળી ખોટા રેકર્ડ આધારે ગ્રાહકોને લોન આપી મસમોટું કમીશન મેળવવા ગ્રાહકો સાથે મળી કાવતરૂ રચી તમામ ગ્રાહકોના રજુ કરેલ રેકર્ડ ખોટા હોવાનું જાણવા છતા સાચા તરીકે ઉપયોગ કરી ગ્રાહકોને રૂ.4.13 કરોડની લોન અપાવેલ હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓઅમિત ધારેલીયા: કંપની દ્વારા કાર્યરત થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એન્જિનિયર.હિતેન્દ્રસિંહ સુખદેવસિંહ ઝાલા: રાજકોટ કચેરી ખાતે બ્રાન્ચ મેનેજર.આકાશ વ્યાસ: રાજકોટ ઓફિસમાં સેલ્સ મેનેજર. મોડસ ઓપરેન્ડીસેલ્સ મેનેજરની ભૂમિકા: આકાશ વ્યાસ સંભવિત ગ્રાહકોને ઓળખવા, જરૂરી દસ્તાવેજો એકઠા કરવા અને લોનની ફાઇલો તૈયાર કરવા માટે જવાબદાર હતા. ત્યારબાદ આ ફાઇલો બ્રાંચ મેનેજર હિતેન્દ્રસિંહ ઝાલાને સુપરત કરવામાં આવી હતી. બ્રાન્ચ મેનેજરની ભૂમિકા: હિતેન્દ્રસિંહ ​​​​​​​ઝાલાએ દસ્તાવેજોની સમીક્ષા કરી અને ગ્રાહક લોન માટે પાત્ર બને તે માટે આવકની ચકાસણી હાથ ધરી હતી. તેમણે ફિઝિકલ વેરિફિકેશન માટે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એન્જિનિયર સાથે સંકલન પણ કર્યું હતું. થર્ડ પાર્ટી એન્જિનિયરની ભૂમિકાઃ અમિત ધારેલિયાએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને રેકોર્ડની ચકાસણી કરી હતી. દસ્તાવેજો બનાવટી હોવાનું જાણવા છતાં તેમણે કંપનીને અનુકૂળ અહેવાલો સુપરત કર્યા હતા.આ ત્રિપુટીએ ગ્રાહકો સાથે મળીને લોન મેળવવા માટે બનાવટી રેકોર્ડ અને બિલ બનાવ્યા હતા. 30 સપ્ટેમ્બર, 2023થી 30 જાન્યુઆરી, 2024ની વચ્ચે, છેતરપિંડીના દસ્તાવેજોના આધારે ₹ 4.13 કરોડની લોનનું વિતરણ કરવામાં આવ્યું હતું. 30 સપ્ટેમ્બર, 2023થી 30 જૂન, 2024ની વચ્ચે કંપનીના ત્રણ કર્મચારીઓએ બનાવટી રેકોર્ડના આધારે લોન મંજૂર કરવા માટે ગ્રાહકો સાથે કથિત રીતે જોડાણ કર્યું હતું અને ગ્રાહકો અયોગ્ય હોવા છતાં, લોન મંજૂર કરવામાં આવી હતી. કર્મચારીઓએ ભારે કમિશન મેળવ્યું હોવાના અહેવાલ છે. પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરીરાજકોટ યુનિવર્સિટી પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદમાં એ બાબત પર પ્રકાશ પાડવામાં આવ્યો છે કે, કર્મચારીઓ અને ગ્રાહકોએ જાણી જોઈને લોન મેળવવા માટે ખોટા રેકોર્ડ રજૂ કર્યા હતા, જેના કારણે કંપનીને નોંધપાત્ર નાણાકીય નુકસાન થયું હતું.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 5:10 pm

આખરે ભુજ હનીટ્રેપની માસ્ટરમાઈન્ડ મુસ્કાન પકડાઈ:LCBએ કચ્છથી ભાગેલા બે આરોપીને વડોદરાથી પકડ્યા, અગાઉ કોંગી નેતા સહિત 3 પકડાયા હતા

ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હનીટ્રેપ કેસમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચએ મોટી સફળતા મેળવી છે. પોલીસે વડોદરાથી બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે વડોદરાથી શહેનાઝ ઉર્ફે મુસ્કાન મહમ્મદ નોડે અને મહમ્મદ ઉર્ફે મામદ ઇસ્માઇલ નોડેની ધરપકડ કરી છે. બંને આરોપીઓ મૂળ ગાંધીધામની જગદંબા સોસાયટીના રહેવાસી છે અને હાલમાં વડોદરામાં રહેતા હતા. હનીટ્રેપમાં ફસાવી 22 લાખની છેતરપિંડીઆરોપીઓએ ફરિયાદીને ધમકાવીને કેસ પતાવવા માટે રૂ. 19 લાખની માંગણી કરી હતી. વધુમાં, અબ્દુલ હમીદ સમા અને સરફરાજ રઝાક ખાટકીએ પોલીસ તરીકે ખોટી ઓળખ આપી વધુ રૂ. 3 લાખ પડાવ્યા હતા. આમ, કુલ રૂ. 22 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી.યુવકને ઈન્સ્ટાગ્રામથી હનીટ્રેપમાં ફસાવી ₹22 લાખ પડાવ્યા વાંચવા માટે અહીં ક્લિક કરો પોલીસે બાતમી અને ટેક્નિકલ સર્વેલન્સથી પકડ્યાક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પીઆઇ એસ.એન. ચુડાસમા અને પીએસઆઇ એચ.આર. જેઠીના માર્ગદર્શન હેઠળ આ કેસની તપાસ હાથ ધરવામાં આવી હતી. હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે વડોદરાથી બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આખો બનાવ શું છે?કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં હિલગાર્ડન પાસે હનીટ્રેપનો ચકચારી બનાવ સામે આવ્યો હતો. આ ઘટનામાં યુવકને બ્લેકમેલ કરીને રૂ. 22 લાખ ખંખેરવામાં આવ્યા હોવાનો ગુનો ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાયો હતો. આ મામલે યુવતી સહિત કુલ પાંચ આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાંથી ત્રણ શખસની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે મુખ્ય આરોપી યુવતી સહિત બેની શોધખોળ ચાલતી હતી. સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યાભુજના રહેવાસી મહેબૂબ શબ્બીર ખાટકીની ફરિયાદ અનુસાર, આદિપુરની રહેવાસી યુવતી મુસ્કાનએ સોશિયલ મીડિયા (ઇન્સ્ટાગ્રામ) મારફતે સંપર્ક સાધી તેને મોહજાળમાં ફસાવ્યો હતો. ત્યારબાદ, ભુજમાં મળીને ચા-નાસ્તો કર્યા બાદ હિલગાર્ડન પાસે લઈ જઈ, કાવતરામાં સામેલ નગરસેવક અબ્દુલ હમીદ સમાએ તેની સાથેની તસવીરો ખેંચી હતી. આ તસવીરોનો ઉપયોગ કરીને યુવકના ભાઈ સરફરાઝ રઝાક ખાટકીને અન્ય આરોપીઓ દ્વારા બ્લેકમેલ કરવામાં આવ્યો હતો. કેવી રીતે રૂ. 22 લાખ ખંખેરી લીધા હતા?આ કાવતરામાં યુવતીના ખોટા પતિ તરીકે મામદ નોડેને રજૂ કરવામાં આવ્યો હતો. ફરિયાદીને ધમકાવીને રૂ. 19 લાખ પડાવ્યા ગયા હતા. ત્યારબાદ, ખોટી પોલીસ ફરિયાદના નામે વધુ 3 લાખ ખંખેરવામાં આવ્યા હતા. આ કાવતરામાં મુન્દ્રાના કોંગી અગ્રણી હરિસિંહ જાડેજાનું નામ પણ સામે આવ્યું છે, જે ખોટી ઓળખ આપી પોલીસ તરીકે ધમકી આપતો હતો. પોલીસે અગાઉ 3ની અટકાયત કરી હતીભુજના નગરસેવક અબ્દુલ હમીદ સમા, સરફરાઝ ખાટકી અને હરિસિંહ જાડેજાની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે મુખ્ય આરોપી યુવતી મુસ્કાનની શોધખોળ ચાલુ હતી. આ ઘટના 17 નવેમ્બર 2024થી 2 ફેબ્રુઆરી 2025 દરમિયાન બની હતી, જે અંગેની ફરિયાદ 17મી માર્ચે રાત્રે નોંધાઈ હતી. આવા કિસ્સામાં પોલીસની મદદ લેવા સલાહપોલીસવડા વિકાસ સુડાએ જણાવ્યું કે આ પ્રકારના કિસ્સાઓમાં ગભરાવવાના બદલે તાત્કાલિક પોલીસની મદદ લેવી જોઈએ.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 5:10 pm

નરોડા કોલેજનો વાર્ષિક ઉત્સવ:સેમેસ્ટર-6ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

નરોડા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એ. પી. પટેલ આર્ટસ એન્ડ સ્વ. શ્રી એન. પી. પટેલ કોમર્સ કોલેજમાં વાર્ષિક ઉત્સવ અને વિદાય સમારંભ યોજાયો. કાર્યક્રમ 1 એપ્રિલ 2025ના રોજ કૌશિકભાઈ પટેલ સાંસ્કૃતિક હોલમાં યોજાયો હતો. કાર્યક્રમમાં નરોડા કેળવણી મંડળના મંત્રી અશ્વિનભાઈ પટેલ અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પી.કે.પટેલ વિદ્યા સંકુલના ડાયરેક્ટર ડૉ. રમેશભાઈ ચૌધરી અને કારોબારી સભ્ય પૂનમભાઈ પટેલ મહેમાન તરીકે હાજર રહ્યા હતા. વિદાય લેતા સેમેસ્ટર-6ના વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. જી.એસ. સાક્ષી મંગતાની અને એલ.આર. ગાયત્રી શર્માએ કોલેજને સ્મૃતિ ભેટ રૂપે તિજોરી અર્પણ કરી હતી. પ્રિન્સિપાલ ડૉ. મુકેશભાઈ પ્રજાપતિએ વર્ષ દરમિયાન થયેલી પ્રવૃત્તિઓનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો. કોલેજમાં વિવિધ શિષ્યવૃત્તિઓ અંતર્ગત તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા. ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ગોલ્ડ મેડલ મેળવનાર ઉર્વશી વણકર, રૂચિ રાજપૂત અને પાંડે જાગૃતિનું વિશેષ સન્માન કરાયું. ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીમાં રમેલા 8 ખેલાડીઓ અને સાંસ્કૃતિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયત કરાઈ. એન.એસ.એસ.ના 4 શ્રેષ્ઠ સ્વયંસેવકો અને 1 શ્રેષ્ઠ કેમ્પસ એમ્બેસેડરને પણ સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમનું સંચાલન ડૉ. પારૂલબેન પટેલ અને પ્રો. ધીરેન્દ્ર સુથારે કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 5:08 pm

HVK ગ્રુપનો રક્તદાન કેમ્પ:કતારગામમાં યોજાયેલા કેમ્પમાં 1200થી વધુ બોટલ રક્તદાન

સુરતના હીરા વેપારી નાગજીભાઈ મોહનભાઇ સાકરીયાએ તેમના 63મા જન્મદિવસની ઉજવણી માનવતાના કાર્યથી કરી છે. HVK ગ્રુપ ઓફ કંપનીઝ દ્વારા સુરત, અમરેલી અને અમદાવાદમાં 17મો મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 46 વર્ષથી હીરા વ્યવસાય સાથે જોડાયેલા નાગજીભાઈએ તેમના જન્મદિવસને લોકકલ્યાણ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી સમસ્ત પાટીદાર સમાજની વાડીમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં નાગજીભાઈના પુત્ર, ભત્રીજા, રામપરા ગામના સ્નેહીજનો અને ઓફિસ ટીમે સક્રિય ભાગ લીધો હતો. સુરતના મેયર દક્ષેશ માવાણી સહિત હીરા ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રની અનેક હસ્તીઓએ નાગજીભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી. કેમ્પમાં એકત્રિત થયેલ 1200થી વધુ રક્તની બોટલ્સને કિરણ હોસ્પિટલ, લોકસમર્પણ કેન્દ્ર અને સ્મીમેર હોસ્પિટલને દાન કરવામાં આવી છે. આ રીતે નાગજીભાઈએ તેમના જન્મદિવસને માનવતાની મમતા સ્વરૂપે ઉજવ્યો છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 5:04 pm

પોરબંદર મહાનગરમાં મિલ્કત ટ્રાન્સફર ફી વિવાદ:રાજકોટ-અમદાવાદ કરતાં વધુ ફી, બિલ્ડર્સ-કોંગ્રેસની કમિશનરને રજૂઆત

પોરબંદર મહાનગરપાલિકામાં મિલ્કત ટ્રાન્સફર ફીના મુદ્દે વિવાદ સર્જાયો છે. મહાનગર બન્યા બાદ વેરા અને મિલ્કત ટ્રાન્સફર ફીમાં કરાયેલા વધારાથી બિલ્ડર્સ અને સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ વધી છે. આજે જિલ્લા કોંગ્રેસ અને બિલ્ડર્સે મનપાના કમિશનર એચ.જે. પ્રજાપતિને આવેદનપત્ર આપ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ ઓડેદરા અને બિલ્ડર્સે રજૂઆત કરી હતી કે પોરબંદરમાં રાજકોટ અને અમદાવાદ કરતાં પણ મિલ્કત ટ્રાન્સફર ફી વધારે છે. વધુમાં, મહાનગરના ડેવલપમેન્ટ પ્લાનના કારણે બોખીરા અને ખાપટ વિસ્તારમાં નવા બાંધકામની મંજૂરી અપાતી નથી. આના કારણે બિલ્ડર્સ અને બાંધકામ સામગ્રી સાથે જોડાયેલા વ્યવસાયિકો બેરોજગાર બન્યા છે. તેમણે આ વિસ્તારોમાં રહેણાંક મકાનના બાંધકામની મંજૂરી આપવાની માંગ કરી છે. કમિશનર એચ.જે. પ્રજાપતિએ સ્પષ્ટતા કરી કે મિલ્કત ટ્રાન્સફર ફી અંગે અગાઉની નગરપાલિકાએ કરેલા ઠરાવની અમલવારી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે ડેવલપમેન્ટ પ્લાન અંગે સરકારમાં રજૂઆત કરી બાંધકામની મંજૂરી અંગે નિર્ણય લેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 4:59 pm

ચંદુમાણા ગામમાં અલખધણીની ભક્તિનું કેન્દ્ર:નર્મદા કિનારે 22 વર્ષથી દર અજવાળી બીજે ભજન-સંતવાણીનો કાર્યક્રમ યોજાય છે

પાટણ જિલ્લાના ચંદુમાણા ગામમાં નર્મદા કિનારે આવેલી અલખધુણીની પવિત્ર જગ્યા ભક્તજનોની આસ્થાનું કેન્દ્ર બની છે. આ જગ્યાની સ્થાપના વર્ષ 2001માં સંતવાણીના આરાધક મહેન્દ્રભાઈ વ્યાસે તેમના ખેતરમાં કરી હતી. અલખધુણી ખાતે દર અજવાળી બીજના રોજ રાત્રે ભજન, સંતવાણી અને પાટ પૂજાના ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. આ સ્થળ માત્ર ભજન અને દિન-દુખિયાઓની આસ્થાનું આધ્યાત્મિક કેન્દ્ર છે, જ્યાં અંધશ્રદ્ધાને કોઈ સ્થાન નથી. તાજેતરમાં ચૈત્ર સુદ બીજના દિવસે દિવંગત રાધાજી રૂપાજી ઠાકોરના સ્મરણાર્થે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમના અનુજ રમેશજી રૂપાજી ઠાકોર (પનારા) યજમાન પદે હતા. કાર્યક્રમમાં પાલનપુર, અમદાવાદ, ચાણસ્મા, અડિયા, કુણઘેર સહિત ચંદુમાણા ગામના ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સંતવાણીના આરાધક સુરેશભાઈ અને લોકસાહિત્યકાર નવઘણસિંહે મોડી રાત સુધી સંતવાણી ભજનોની રમઝટ બોલાવી હતી. મહેન્દ્રભાઈ વ્યાસ અને નિરંજનભાઈ દવેના માર્ગદર્શન હેઠળ ધુણા મંડળના સેવકોએ કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતું. મહેન્દ્રભાઈએ ભક્તોને સંદેશ આપ્યો કે અલખધણીનું ભજન કરતા રહો અને સાંસારિક ફરજોનું નીતિપૂર્વક પાલન કરી જીવન સાર્થક કરો.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 4:58 pm

OMG...ગ્રાઉન્ડ પર આ કોણ આવ્યું?:હાર્દિક એન્ડ કંપની સાથે બસમાં પણ દેખા દીધી; રિટાયરમેન્ટની ચર્ચા વચ્ચે કોહલીની 'ક્લિયર ડ્રાઈવ'

હાર્દિક પંડ્યા અને ટીમ સાથે બસમાં કોણ દેખાયું જેની ચારેકોર ચર્ચા છે; જે ક્રાઉડ હાર્દિક માટે હુરિયો બોલાવતું એણે હવે હાર્દિક માટે કેવી રીતે ચીયર કર્યું? વીડિયોમાં જુઓ; રિટાયરમેન્ટની અટકળો પર વિરાટ કોહલી શું બોલ્યો? ધોનીના ખરાબ સમયમાં રવીન્દ્ર જાડેજાએ કેવી રીતે સાથે આપ્યો? જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'MATCH મસાલા'

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 4:56 pm

વિદેશથી પરત ફરેલા રાજપીપલાના યુવાને પ્રાકૃતિક ખેતીમાં મેળવી સફળતા:14 એકર જમીનમાં એક સાથે 3 પાકની ખેતી કરીને વર્ષે 4 લાખની કમાણી કરી

લંડનમાં માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કરવો અને વતન પરત ફરીને પ્રાકૃતિક ખેતી તરફ આકર્ષણ, નર્મદા જિલ્લાનો લાછરસ ગામનો યુવાન પ્રગતિશિલ ખેડૂતમિત્ર દિપેન કાંતિભાઈ દેસાઈ, જેઓ છેલ્લા 5 વર્ષથી પશુપાલનની સાથે 14 એકર જમીનમાં મિશ્રપાક પદ્ધતિની પ્રાકૃતિક ખેતી કરે છે. વિદેશ અભ્યાસ બાદ થોડી ઘણી ખેતી કરવાની શરૂઆત કરીપ્રગતિશિલ ખેડૂત દિપેન દેસાઈએ જણાવ્યુ હતુ કે, વર્ષોથી બાપદાદાઓ ખેતી કરતા આવ્યા છે. જે ખેતીને આગળ વધારવાનો મને વિચાર આવ્યો કે, ઘર-આંગણે લાખો રૂપિયાની કમાણી થતી હોય તો હુ કેમ ખેતી ના કરી શકુ. વિદેશ અભ્યાસ બાદ થોડી ઘણી ખેતી કરવાની શરૂઆત કરી. શરૂઆતમાં તો ખેડૂત વધારે મહેનત કરે અને થોડુ કમાય તો એવી હાલત હતી. ખર્ચો વધારે થાય અને ઘરમાં થોડી મદદ થાય એનાથી વિશેષ કોઈ બચત ના થાય. 2019 માં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી, વર્ષે 3થી 4 લાખની કમાણીત્યારબાદ ખેતીમાંથી ઓછા મહેનતે વધારે આવક કેવી રીતે મળી શકે તેના માટે પ્રેરણા પ્રવાસ કર્યો અને પ્રાકૃતિક ખેતી કરવા વિચાર આવ્યો. વર્ષ 2019 માં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી જેમાં કોઈ પણ જાતનો રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વગર બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, આચ્છાદાન અને વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવીને ખેતરમાં ઉપયોગ કરવા લાગ્યો. તેમજ વિવિધ જાતના પાંદડાઓનો ઉપયોગ કરી અર્ક તૈયાર કરી પાકના રક્ષણ અને પોષણ માટે ઉપયોગ કરતા જમીનની ફળદ્રુપતામાં સુધારો જોવા મળ્યો અને પાકમાં બમણુ ઉત્પાદન થવા લાગ્યુ જેનાથી આવકમાં દિનપ્રતિદિન વધારો થતો ગયો અને આર્થિક પરિસ્થિતિ મજબૂત થઈ. પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ તેઓ વર્ષે 3થી 4 લાખની કમાણી કરી રહ્યા છે. 14 એકર જમીનમાં મિશ્ર-પાક પદ્ધતિથી ખેતી કરી 14 એકર જમીનમાં મિશ્ર-પાક પદ્ધતિ અપનાવીને સીઝન વાઈસ બારેમાસ પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશિલ ખેડૂત દિપેન દેસાઈના ખેતરમાં શેરડી, પૈપેયા, કેળા, કપાસ, હળદર, આંબાની વાડી છે. જ્યારે શાકભાજીમાં ટામેટા,રીંગણ, ડુંગળી, કોબીજ, મરચાં, પાપડી, કોથમીર, તુવેર અને ભીંડા, લીંબુ અને વિવિધ પ્રકારની લીલી-ભાજી તેમજ ફળફળાદી જોવા મળે છે. જેમાથી લાખોની કમાણી કરે છે. પશુપાલન માટે ખેતરમાં લીલો ઘાસચારો ઉગાડીને પોષ્ટિક પશુઆહારનો ઉપયોગ કરે છે. ઘરમાં મીઠું સીવાય કોઈ પણ જાતની શાકભાજી બજારમાંથી લાવવી નથી પડતી દિપેન દેસાઈએ ખેતરની વધુ માહિતી આપતા જણાવ્યું કે, શેરડીને નર્મદા સુગર ધારીખેડા ખાતે આપવામા આવે છે. જ્યારે પૈપેયા અને કેળાને સ્થાનિક જ્ગ્યાએથી જ વેપારીઓ આવીને લઈ જાય છે. ઘરે જ હળદરનું પ્રોસેસિંગ કરી પાવડર બનાવી વેચાણ કરવામાં આવે છે તેના બિયારણનું પણ વેચાણ કરવામાં આવે છે. નિરોગી જીવન માટે હરહંમેશ પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતી થકી થતી શાકભાજીનો જ સંપૂર્ણપણે ઘરમાં ઉપયોગ થાય એવા એમના આગ્રહના કારણે ઘરમાં મીઠું સીવાય કોઈ પણ જાતની શાકભાજી બજારમાંથી લાવવી ના પડે તેવો પ્રયત્ન કરે છે. તેમજ ખેતરમાં કામ અર્થે આવતા શ્રમિકો મદદ પણ વેતન સાથે વિનામુલ્યે શાકભાજી આપવામાં આવતી હોય છે. પ્રેરણા પ્રવાસીઓને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપે છે દિપેન દેસાઈ પ્રકૃતિ પ્રેમી કહીએ કે, પ્રાકૃતિક ખેતીના પ્રેરણા પ્રવાસ કરવા માટે આવતા પ્રવાસીઓ દિપેનભાઈના ખેતરે આવી ખેતરનું નિરીક્ષણ કરે છે, સમજે છે અને જાણે છે અને પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા લઈને જાય છે. અહી આવનાર પ્રેરણા પ્રવાસીઓને દિપેન દેસાઈ જાતે તાલીમ આપે છે. આ તાલીમ દરમિયાન કેવી રીતે ખાતર બનાવી શકાય? ગાયના ગૌ-મુત્રનો કેવી રીતે અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરી શકાય તે અંગેની વિસ્તૃતમાં માહિતી મેળવે છે અને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત થઈને જાય છે. પશુપાલન આધારિત ખેતી કરવી ખુબ જ જરૂરી : દિપેન દેસાઈપ્રાકૃતિક ખેતી કરીને ખુશી વ્યક્ત કરતા દિપેન દેસાઈએ ખેડૂતોને સંદેશ આપ્યો કે, વહેલુ અને વધુ ઉત્પાદન વધે એની રેસ વધી રહી છે એનાથી એક ડગલુ પાછળ હટીને સૌએ સમજવું પડશે કે સમાજ ક્યાં જઈ રહ્યો છે? ખેતી ક્યાં જઈ રહી છે? જમીનની શું પરિસ્થિતિ છે? એના આધારે ગાય આધારિત ક્યાં તો વડવાઓ દ્વારા થતી ખેતી અપનાવી પડશે. જેના માટે પશુપાલન આધારિત ખેતી કરવી ખુબ જ જરૂરી છે. પશુપાલનમાં દિપેન દેસાઈના પત્નીને મળ્યું જિલ્લાના શ્રેષ્ઠ પશુપાલકનું પ્રમાણપત્રનર્મદા જિલ્લાના આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન હેઠળ જિલ્લા સહિત અન્ય જિલ્લાના ખેડૂતમિત્રો ખેતરની મુલાકાતે આવતા હોય છે. જીજી આર.સી. દ્વારા ડ્રીપ ઈરીગેશન સિસ્ટમ ઇન્સ્ટોલ સહાય મળી છે. તેમજ પશુપાલન ક્ષેત્રે પોતાની આગવી કોઠાસૂઝથી ઉચ્ચ કક્ષાની સિદ્ધિ મેળવી, ધ્યાનાકર્ષક કરી, અન્ય પશુપાલકોને પણ તેઓએ રાહ ચીંધી બતાવ્યો છે. તે બદલ દિપેન દેસાઈના પત્ની નેહાબેન દિપેનભાઈ દેસાઈને જિલ્લા કક્ષાનું પ્રથમ સ્થાનનું શ્રેષ્ઠ પશુપાલક પ્રમાણપત્ર વર્ષ 2024-25 એનાયત કરવામાં આવેલ છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 4:50 pm

NIMCJ માં ભાવુક વિદાય સમારંભ:જુનિયર્સે સિનિયર્સને આપ્યા મેમરી કાર્ડ, રમતગમત અને નૃત્યથી માણ્યો આનંદ

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ)માં એક યાદગાર ક્ષણ સર્જાઈ. જુનિયર વિદ્યાર્થીઓએ પાસ આઉટ થઈ રહેલા સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે ભવ્ય ફેરવેલ પાર્ટીનું આયોજન કર્યું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ રમતો અને નૃત્યનો આનંદ માણ્યો. મનોરંજક પ્રવૃત્તિઓથી વાતાવરણ ઉત્સાહથી ભરપૂર રહ્યું. જુનિયર વિદ્યાર્થીઓએ સિનિયર્સ માટે ખાસ મેમરી કાર્ડ ડિઝાઇન કર્યા. આ કાર્ડ તેમને સ્મૃતિચિન્હ તરીકે આપવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ કોલેજ જીવનની યાદગાર ક્ષણોને વાગોળી. સહુએ આનંદ અને ઉલ્લાસપૂર્વક ફેરવેલ પાર્ટીની મજા માણી. આ પ્રસંગે કોલેજના સુંદર સમયની યાદો તાજી થઈ.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 4:31 pm

ઘોઘંબાના રીંછવાણી ગામમાં વેપારીઓને નોટિસથી વિવાદ:30-40 વર્ષથી ધંધો કરતા નાના વેપારીઓએ કલેક્ટરને આપ્યું આવેદન, રાજકીય દબાણથી કાર્યવાહી થયાનો આરોપ

ઘોઘંબા તાલુકાના રીંછવાણી ગામમાં નાના વેપારીઓને ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવાની નોટિસ અપાતા વિવાદ સર્જાયો છે. આ મામલે વેપારીઓએ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. વેપારીઓના જણાવ્યા મુજબ, તેઓ છેલ્લા 30-40 વર્ષથી રોડની બંને બાજુ 50-60 ફૂટ દૂર શાકભાજીની લારીઓ અને કટલરી સામાનની દુકાનો ચલાવે છે. તેમણે કોઈ પાકું બાંધકામ કે પંચાયતને નડતરરૂપ દબાણ કર્યું નથી. છતાં પંચાયતે તેમને નોટિસ આપી છે. આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો છે કે નવા તાલુકાની માગણી વખતે વેપારીઓએ કરેલા વિરોધને કારણે રાજકીય દબાણ હેઠળ આ કાર્યવાહી થઈ રહી છે. તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામ પંચાયતને દબાણો દૂર કરવાની સૂચના આપી છે. ખાસ કરીને સર્વે નંબર 29 અને 267માં આવેલી દુકાનોને નિશાન બનાવવામાં આવી છે. વેપારીઓએ જણાવ્યું છે કે તેઓ ગરીબ અને શિક્ષિત બેરોજગાર પરિવારોમાંથી આવે છે. આ ધંધો તેમની આજીવિકાનો એકમાત્ર સ્ત્રોત છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે ગામમાં અન્ય સર્વે નંબરોમાં પણ દબાણ હોવા છતાં માત્ર આ બે સર્વે નંબરને જ કેમ નિશાન બનાવવામાં આવ્યા છે. વેપારીઓએ જિલ્લા અધિક કલેક્ટર પાસે ન્યાયની માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 4:30 pm

વાપી મહાનગરપાલિકાની મોટી સિદ્ધિ:નાણાકીય વર્ષ 2024-25માં 95.63% વેરા વસૂલાત, ગત વર્ષ કરતાં 4.87 કરોડ વધુ

વાપી મહાનગરપાલિકા ઘરવેરા વિભાગે નાણાકીય વર્ષ 2024-25માં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. વિભાગે રૂ.28.75 કરોડના માંગણા સામે રૂ.27.49 કરોડની વસૂલાત કરી 95.63 ટકાનો ઊંચો આંક પાર કર્યો છે. કમિશ્નર યોગેશ ચૌધરી અને નાયબ કમિશ્નર અશ્વિન પાઠકના માર્ગદર્શન હેઠળ, ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ ઠક્કર અને ટેક્સ ઈન્સ્પેકટર દીપક ચભાડિયાની ટીમે છેલ્લા બે માસથી સઘન વસૂલાત અભિયાન ચલાવ્યું. આ વસૂલાત ગત વર્ષ 2023-24ની 93.61 ટકા વસૂલાત કરતાં વધુ છે. મહાનગરપાલિકામાં સમાવિષ્ટ 11 ગામોમાં પણ વેરા વસૂલાતને વેગ મળ્યો. છીરીમાંથી રૂ.69 લાખ, બલીઠામાંથી રૂ.58 લાખ અને છરવાડામાંથી રૂ.46 લાખની વસૂલાત થઈ. સમગ્ર મહાનગરપાલિકાની કુલ વસૂલાત રૂ.37.46 કરોડ નોંધાઈ. અભિયાન દરમિયાન 520થી વધુ રહેણાંક અને બિનરહેણાંક મિલકતો સીલ કરવામાં આવી. લાંબા સમયથી વેરો ન ભરનાર ચાલીની રૂમોને તાળાં મારવામાં આવ્યા અને ફ્લેટની હરાજીની કાર્યવાહી શરૂ કરાઈ. માર્ચ માસમાં 31 દિવસની સતત કાર્યવાહીમાં મૂળ વાપીમાંથી રૂ.3.61 કરોડ અને 11 ગામોમાંથી રૂ.2.44 કરોડ મળી કુલ રૂ.6.05 કરોડની વસૂલાત થઈ. આગામી વર્ષમાં મિલકતધારકો માટે ઓનલાઈન અને ઓફલાઇન વેરો ભરવાની નવી અને આધુનિક વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 4:30 pm

નિવૃત્ત પોલીસનો પુત્ર એસી બસમાં ચલાવતો દેહવ્યાપાર:મિની ટ્રાવેલરમાં પલંગ સહિતની સુવિધા મળતી, રાજસ્થાનથી યુવતી બોલાવી ગ્રાહક પાસેથી રૂ.1 હજાર લેતો

જામનગરના રણજીતનગર વિસ્તારમાં નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્રએ દેહવ્યાપાર માટે નવતર પદ્ધતિ અપનાવી હતી. આરોપી અશોકસિંહ પ્રવીણસિંહ ઝાલાએ મીની ટ્રાવેલર બસમાં જ એસી, પલંગ સહિતની સુવિધા ઉભી કરી દેહવ્યાપારનું કેન્દ્ર ઊભું કર્યું હતું. બહારના રાજ્યમાંથી યુવતી બોલાવી ગ્રાહક પાસેથી રૂ.1 હજાર લેતો હતો. સમગ્ર મામલે પોલીસે આરોપીને ઝડપી લીધો છે.પોલીસે દરોડો પાડી સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યોસમગ્ર ઘટનાને વિસ્તારથી જોઈએ તો સીટી સી-ડિવિઝનના PSI આર.ડી. ગોહિલને મળેલી બાતમીના આધારે ગઈકાલે સાંજે સાત વાગ્યે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન રાજસ્થાનના જોધપુરથી બોલાવેલી યુવતી અને ગ્રાહક હાજર હતા. તેમજ બસમાં એસી, પલંગ અને અન્ય સુવિધાઓ જોવા મળી હતી. આરોપીએ પોતાની કારમાં પોલીસ લખેલી નંબર પ્લેટ લગાવીઆ મામલે પોલીસે આરોપી અશોકસિંહની અટકાયત કરી લીધી છે. તેની પાસેથી ચાર મોબાઈલ ફોન, એક ટેમ્પો, કાર અને રોકડ રકમ સહિત 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવી છે. આરોપી અગાઉ પણ પોતાના ઘરમાં દેહવ્યાપાર ચલાવવાના આરોપમાં પકડાઈ ચૂક્યો છે. તેણે પોતાની કારમાં પોલીસ લખેલી નંબર પ્લેટ લગાવીને દુરુપયોગ કર્યો હોવાથી તે અંગેની કલમ પણ ઉમેરવામાં આવી છે. દ્વારકાનો રહેવાસી એક આરોપી ફરાર થઈ ગયો છે, જેને શોધવાની કાર્યવાહી ચાલુ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. યુવતી બે દિવસ પહેલા જ આવી હતીટેમ્પો ટ્રાવેલ્સમાંથી મળી આવેલી યુવતી કે જે પોતે રાજસ્થાનના જોધપુરથી બે દિવસ પહેલાં આવી હોવાની કબુલાત આપી હતી. આરોપી અશોકસિંહ ગ્રાહકો પાસેથી 1 હજાર રૂપિયા ઉઘરાવતો હતો. જેમાં 500 પોતે રાખતો હતો અને બાકીના 500 યુવતીને આપતો હતો. જે યુવતી પાસેથી પોલીસે 11,000ની રોકડ રકમ કબજે કરી લીધી છે, અને યુવતીને હાલ વિકાસગૃહમાં મોકલી દેવામાં આવી છે. જ્યારે આરોપી અશોક સિંહ ઝાલાની પોલીસે અટકાયત કરી છે. મોબાઈલ માથી અનેક યુવતીના નંબર અને અશ્લિલ ફોટા મળ્યાંપોલીસને આરોપી પાસેથી અલગ-અલગ ચાર મોબાઈલ ફોન મળી આવ્યાં છે. જે મોબાઈલ ફોનમાં સમગ્ર દેશભરની અનેક યુવતીઓના મોબાઈલ નંબર હતા, ખાસ કરીને રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, દિલ્હી, મુંબઈ સહિતની અનેક યુવતીઓના નામ, ફોટા, વગેરે જોવા મળ્યા હતા. તેમજ યુવતીઓના અશ્લિલ ફોટા પણ જોવા મળ્યા હતા. જે ફોટાના માધ્યમથી પોતે પુરુષ ગ્રાહકોને શોધતો હતો. સમગ્ર નેટવર્ક વોસ્ટએપ કોલિંગના માધ્યમથી ચાલતુ હતું. આરોપી વોસ્ટએપ દ્વારા યુવતીઓના તેમજ પુરૂષ ગ્રાહકોના સંપર્કમાં રહેતો હતો. પોલીસને અનેક ઓડિયો, વીડિયો ફૂટેજ પણ મળી આવ્યાં છે. જે સમગ્ર મામલે તપાસ ચલાવાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 4:28 pm

જૂનાગઢમાં વાયર ચોરી કરતી મહિલા ઝડપાઈ:4 મહિના પહેલા ચોરી કરેલી જગ્યાએ ફરી આવતા સ્થાનિકોએ પકડી, પોલીસને સોંપી

જૂનાગઢના જોષીપરા વિસ્તારમાં એક મહિલા ચોરને સ્થાનિકોએ ઝડપી પાડી પોલીસને સોંપી છે. આ મહિલાએ ચાર મહિના પહેલા એક નવા બાંધકામવાળા મકાનમાંથી 40 હજાર રૂપિયાની કિંમતના ઇલેક્ટ્રિક વાયર ચોરી કર્યા હતા. ફરિયાદી એડવોકેટ કેતનભાઈ નૌતમલાલ દવે (48)ના કૃષ્ણનગરમાં આર.બી. છાત્રાલયની બાજુમાં આવેલા મકાનમાંથી 5 ડિસેમ્બર, 2024ની રાત્રે 1800 મીટર કોપર વાયરની ચોરી થઈ હતી. આ ઘટના બાદ સ્થાનિકોએ વિસ્તારમાં સતત નજર રાખવાનું શરૂ કર્યું હતું. ચાર મહિના બાદ આ જ મહિલા ફરીથી એ જ સ્થળે ચોરી કરવા આવી હતી. તે મકાનના ઉપરના માળે પહોંચી હતી, પરંતુ આસપાસના કૂતરાઓના ભસવાના અવાજથી તે ગભરાઈ ગઈ. મહિલા મકાનમાંથી નીચે ઉતરી શકી નહીં અને કૂતરાઓના અવાજથી જાગી ગયેલા સ્થાનિકોએ તેને રંગેહાથ ઝડપી લીધી. બી ડિવિઝન પોલીસે મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એ. સાંગાણીએ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 4:27 pm

આણંદમાં વિદ્યાર્થિનીની લેપટોપ ભરેલી બેગ રિક્ષામાં રહી ગઈ:નેત્રમ કમાન્ડ એન્ડ કંટોલ ટીમે ગણતરીના કલાકોમાં જ રિક્ષાચાલકને શોધી કાઢ્યો, લેપટોપ મેળવી પરત અપાવ્યું

આણંદમાં એક વિદ્યાર્થિનીની લેપટોપ બેગ રિક્ષામાં ભૂલી જવાની ઘટના સામે આવી છે. વડોદરાના ખોડીયાર નગરની હેત્વી રાઈચૂરા આજે સવારે આણંદ રેલ્વે સ્ટેશનથી રિક્ષામાં ફાર્મસી કોલેજ ટાઉન હૉલ જઈ રહી હતી. કોલેજ પહોંચ્યા બાદ તેને ધ્યાન આવ્યું કે તેની રૂ. 50,000ની કિંમતની લેપટોપ ભરેલી બેગ રિક્ષામાં રહી ગઈ છે. હેત્વીએ તરત જ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો. નેત્રમની ટીમે શહેરના વિવિધ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા. રેલવે સ્ટેશન પાસેના કેમેરામાં દેખાયેલી CNG રિક્ષા નંબર GJ 23 AU 3569ને હેત્વીએ ઓળખી બતાવી. નેત્રમની ટીમે પોકેટકોપ મારફતે રિક્ષાચાલકની વિગતો મેળવી તેનો સંપર્ક કર્યો. રિક્ષાચાલકે પ્રમાણિકતા દાખવીને કમાન્ડ રૂમમાં આવીને લેપટોપ ભરેલી બેગ પરત કરી. હેત્વીએ પોલીસની કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો અને જિલ્લા પોલીસ વડા તથા નેત્રમ ટીમની સરાહના કરી.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 4:27 pm

દુધઈના નામચીન આરોપી ઉપર કાર્યવાહી:બળાત્કાર-લૂંટના આરોપીએ હાઇવે પરનું ગેરકાયદે બાંધકામ સ્વેચ્છાએ તોડ્યું

અંજાર તાલુકાના દુધઈ ગામના મફતપરા વિસ્તારમાં રહેતા અલારખા કાસમ સમા નામના આરોપી સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. આરોપી સામે મારામારી, લૂંટ અને બળાત્કારના ગુના નોંધાયેલા છે. ગત સપ્તાહે એલસીબીએ ફરાર આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે આરોપીની અટક કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આરોપીએ જુની દુધઈ ભુજ-ભચાઉ હાઇવે રોડ પર સરકારી દવાખાનાની બાજુમાં આવેલી સરકારી જમીન પર દબાણ કર્યું હતું. રેવન્યુ સર્વે નંબર 733 પૈકીની આ જમીન પર તેણે ભેંસોનો તબેલો બનાવી પાકું બાંધકામ કર્યું હતું. પોલીસની નોટિસ બાદ આરોપીએ સ્વેચ્છાએ પોતાનું બાંધકામ તોડી પાડ્યું અને સરકારી જમીન ખાલી કરી છે. આ અંગે પીઆઈ વસાવાએ માહિતી આપી હતી.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 4:20 pm

માધવપુર ઘેડ મેળાની ભવ્ય તૈયારી:6 એપ્રિલે CM ભૂપેન્દ્ર પટેલ કરશે ઉદ્ઘાટન, 1600 જેટલા કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે

ગુજરાત અને ઉત્તર-પૂર્વ ભારતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો આગામી વર્ષે યોજાવા જઈ રહ્યો છે. મેળો 6થી 10 એપ્રિલ 2025 દરમિયાન યોજાશે. પોરબંદર જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણીએ જણાવ્યા મુજબ, મેળાનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે. આ મેળામાં 1600 જેટલા કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે. ગુજરાતના ખ્યાતનામ કલાકારોની પ્રસ્તુતિઓ લોકોને મંત્રમુગ્ધ કરશે. માધવપુરમાં દર વર્ષે ચૈત્ર માસમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના વિવાહ ઉત્સવની ઉજવણી થાય છે. રામનવમીના દિવસથી લગ્નોત્સવનો પ્રારંભ થાય છે. ત્રણ દિવસ સુધી માધવરાય મંદિરેથી ભગવાનની વરઘોડો નીકળે છે. બારસના દિવસે મુખ્ય લગ્નોત્સવની ઉજવણી થાય છે. કડછ ગામના લોકો મામેરું લઈને માધવરાયના મંદિરે આવે છે. સાંજે નિજ મંદિરેથી ઠાકોરજીની જાન નીકળે છે. આ સમયે પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણ રુક્મિણીજી સાથે વિવાહ કરીને બારાત લઈને દ્વારકા પધાર્યા હતા. આ પૌરાણિક મહાત્મ્યને પુનઃ જીવંત કરવા દ્વારકામાં રુક્મિણીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 4:17 pm

ગોધરામાં ગેરકાયદે ગેમઝોન ઝડપાયું:સંચાલક પાસે પરવાનો અને ફાયર NOC પણ નથી; પોલીસે કાર્યવાહી શરૂ કરી

ગોધરા શહેરના દડી કોલોની વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ગેમઝોન પર એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા છે. પેટ્રોલિંગ દરમિયાન પોલીસને આ ગેમઝોન શંકાસ્પદ લાગ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે ગેમઝોનના સંચાલક અતુલ કૃપાશંકર શર્મા પાસે કોઈ કાયદેસરનો પરવાનો નથી. તેઓ અંકલેશ્વર મહાદેવ રોડ, ગોધરા ખાતે રહે છે. સ્થળ પર ફાયર સેફ્ટીના સાધનો પણ અપૂરતા હતા. પોલીસે સંચાલક વિરુદ્ધ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ના નિયમ 33(1), BNS અધિનિયમની કલમ 125 અને જી.પી.એક્ટ કલમ 131 હેઠળ કાર્યવાહી કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, આવા ગેરકાયદે ગેમઝોન લોકોના જીવન માટે જોખમરૂપ છે. રાજકોટના ગેમઝોન ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં આવા સ્થળોની તપાસ થઈ રહી છે. ગોધરા નગરપાલિકા ફાયર બ્રિગેડ આ ગેરકાયદે ગેમઝોનથી અજાણ હતી કે કેમ તે પણ તપાસનો વિષય બન્યો છે. જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તે પ્રશ્ન પણ ઉઠ્યો છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 4:01 pm

વેળાવદર નેશનલ પાર્ક પ્રકૃતિપ્રેમીઓ માટે સ્વર્ગ સમાન:ભાવનગરથી 52 કિમી દૂર 5000 કાળિયારનું નિવાસસ્થાન, 34 ચો.કિ.મી.માં ફેલાયેલા ઉદ્યાનમાં વર્ષમાં ગમે ત્યારે જઈ શકાય

ભાવનગરથી 52 કિલોમીટર દૂર આવેલું વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન રાજ્યનું આગવું અને અનોખું પ્રાકૃતિક નજરાણું છે. 34.53 ચો.કિ.મી. વિસ્તારમાં ફેલાયેલા આ ઉદ્યાનમાં 5,000થી વધુ કાળિયાર મુક્ત રીતે વિચરે છે, જે પ્રકૃતિપ્રેમીઓ અને વન્યજીવન રસિયાઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન પ્રકૃતિ અને વન્યજીવનના પ્રેમીઓ માટે એક અનોખું સ્થળ છે, જ્યાં પ્રકૃતિની અનમોલ ભેટો અને પ્રાણીઓના જીવનચક્રને નજીકથી માણી શકાય છે. કાળિયાર અને અન્ય પ્રાણીઓનું ઘર આ ઉદ્યાન 'ભાલ' તરીકે ઓળખાતા સમતળ જમીનવાળા વિસ્તારમાં આવેલું છે, જ્યાં કાળિયાર ઉપરાંત વરુ, ઝરખ, નીલગાય, શિયાળ અને લોંકડી જેવા પ્રાણીઓ વસવાટ કરે છે. અહીંના કાળિયાર 'એન્ટેલોપ સિર્વિકાપ્રા રાજપૂનાએ' તરીકે ઓળખાય છે, જે ભારતના અન્ય રાજ્યોમાં જોવા મળતા કાળિયાર કરતાં અલગ દેહલાલિત્ય ધરાવે છે. તેઓ ટોળામાં રહે છે અને ટૂંકા અંતરે ઝડપી દોડ કરી શકે છે, જેમાં દોડતી વખતે બે ખરીની છાપ વચ્ચેનું મહત્તમ અંતર 6.60 મીટર સુધી હોય છે. દુર્લભ પક્ષીઓનું નિવાસસ્થાન વેળાવદર ઉદ્યાન દુર્લભ લેસર ફલોરીકન (ખડમોર) પક્ષી માટે પણ જાણીતું છે. ચોમાસામાં આવતા આ પક્ષીઓમાં નર પક્ષી માદાને આકર્ષવા 2 મીટર સુધી ઊંચો કૂદકો મારે છે. આ ઉપરાંત, કઝાખસ્તાન અને સાયબીરીયા જેવા ઠંડા પ્રદેશોમાંથી 8,000 કિ.મી.નું અંતર કાપીને આવતા પટ્ટાઇ પક્ષીઓ અહીં શિયાળો ગાળે છે. આ ઉદ્યાનમાં પટ્ટી-પટ્ટાઇ, ઉજળી પટ્ટાઇ, ઉત્તરીય પટ્ટાઇ અને પાન પટ્ટાઇ જેવી ચાર જાતના પટ્ટાઇ પક્ષીઓ જોવા મળે છે. ઝરખ અને વરુ: પર્યાવરણના રક્ષક ઝરખ, જે સફાઈ કામદાર તરીકે ઓળખાય છે, મૃત્યુ પામેલા પ્રાણીઓના માંસ અને હાડકાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જે પર્યાવરણને જાળવવામાં મદદરૂપ થાય છે. વરુ, જે ટોચનું શિકારી પ્રાણી છે, કાળિયાર અને અન્ય નાના પ્રાણીઓનો શિકાર કરે છે અને ઉદ્યાનના ઇકોસિસ્ટમમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સહેલાણીઓ માટે સુવિધાઓ વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં સહેલાણીઓ માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીં પ્રવેશ માટે ટિકિટની વ્યવસ્થા છે, જે અન્ય નેશનલ પાર્કની સરખામણીએ ખૂબ જ સસ્તી છે. 15 જેટલી ગાડીઓ અને 22 ગાઈડની સુવિધા સાથે સહેલાણીઓ ઉદ્યાનની સુંદરતા માણી શકે છે. ઉદ્યાનનો પ્રાકૃતિક વેટલેન્ડ વિસ્તાર પણ અતિ સમૃદ્ધ છે, જ્યાં દેશ-વિદેશના અનેક સ્થળાંતર કરનારા પક્ષીઓ જોવા મળે છે. સફર માટે શ્રેષ્ઠ સમય આ ઉદ્યાન આખું વર્ષ ખુલ્લું રહે છે, પરંતુ ચોમાસા અને શિયાળાની વચ્ચેનો સમય (જૂનથી માર્ચ) અહીં આવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ખાસ કરીને ડિસેમ્બરથી માર્ચ દરમિયાન અનેક સ્થળાંતર કરનારા પક્ષીઓ અહીં આવે છે, જે પ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 3:57 pm

યુ.કે. વર્ક પરમિટ વિઝાના નામે છેતરપિંડી:યુ.વિન કન્સલ્ટન્સીએ ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત મૂકી લોકો સાથે 42 લાખની છેતરપિંડી કરી, એક આરોપીની ક્રાઈમબ્રાંચે ધરપકડ કરી

સુરત ક્રાઈમ બ્રાંચની ઈકોનોમિક ઓફેન્સ સેલ દ્વારા 42.61 લાખના યુ.કે. વર્ક પરમિટ વિઝા ઠગાઈ કૌભાંડમાં સામેલ વિરલ કિરણ વશી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અને તેની યુ.વિન કન્સલ્ટન્સીએ યુ.કે. વર્ક પરમિટ વિઝા અપાવવાની લાલચ આપી લોકો પાસેથી મોટી રકમ વસૂલી હતી પરંતુ, વિઝાની કોઈ પ્રક્રિયા કરી નહોતી. જ્યારે ફરિયાદી અને સાહેદોએ પૈસા પરત માગ્યા ત્યારે તેમને અવગણવામાં આવ્યા, જેના કારણે 31 માર્ચ, 2025ના રોજ IPC કલમ-409 અને 120(B) હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. આજે પ્રકરણમાં સામેલ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચે આરોપીની ધરપકડ કરીઆરોપીઓએ સલોની હેમંતભાઈ વશી પાસેથી 28,51,000, કિશનભાઈ કિશોરભાઈ ઘરસંડીયા પાસેથી 5,50,000 અને પરેશભાઈ નારાયણ જાની પાસેથી 8,60,000 મળી કુલ 42,61,000 ચાર્જ વસૂલી લીધા હતા. ફરિયાદ નોંધાયા બાદ સુરત ક્રાઈમ બ્રાંચે ગુપ્ત માહિતીના આધારે આરોપી વિરલ કિરણ વશી ને B/303, ઓર્ચિડ ઇન્ફિનિટી, ગૌરવપથ રોડ, પાલ, સુરત ખાતે ઝડપી પાડ્યો હતો. આ કૌભાંડમાં યુ.વિન કન્સલ્ટન્સીના માલિક પ્રતિક જયેન્દ્રસિંહ પવાર, સંચાલક સાઘનાબેન જયેન્દ્રસિંહ પરમાર, મેનેજર વિરલ કિરણ વશી અને કન્સલ્ટન્ટ સોનિયાબેન રાઠોડ સંડોાયેલા હતા. તેઓએ ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત મૂકીને લોકો સાથે છેતરપિંડી કરી હતી. પીડિતો સાથે વિશ્વાસઘાત કરીને, તેઓએ તેમની ઓફિસ બંધ કરી અને ગાયબ થઈ ગયા હતા. સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને વધુ ભોગ બનનાર લોકોની ઓળખ માટે તપાસ ચાલુ છે. વિઝા માટે કોઈપણ એજન્ટને પૈસા ચૂકવતા પહેલા સંપૂર્ણ તપાસ કરવી જરૂરી છે, જેથી આવી છેતરપિંડીથી બચી શકાય

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 3:53 pm

ભચાઉના ઘરાણા ગામમાં મહારૂદ્ર યજ્ઞનું આયોજન:18થી 22 એપ્રિલ સુધી 5 દિવસીય યજ્ઞ, 1000 સાધુ-સંતો થશે સહભાગી

કચ્છના ભચાઉ તાલુકાના ઘરાણા ગામે જયોતેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય મહારૂદ્ર યજ્ઞનું આયોજન થઈ રહ્યું છે. આ યજ્ઞ 18થી 22 એપ્રિલ 2025 દરમિયાન યોજાશે. મહંત નરસિંહગીરી (કોટાવાળા બાપુ) અને સેવકગણના નેતૃત્વમાં આ આયોજન કરવામાં આવ્યું છે. યજ્ઞની શરૂઆત 31 એપ્રિલના રોજ ધર્મ ધ્વજા લગાવીને કરવામાં આવી છે. આ પવિત્ર કાર્યમાં સેવકો તન-મન-ધનથી સેવા આપી રહ્યા છે. આસપાસના વિસ્તારના લોકોએ દાન અને શ્રમદાન દ્વારા સહયોગ આપ્યો છે. મહંત નરસિંહગીરીએ આસપાસના તમામ ગામોમાં જાતે જઈને લોકોને આમંત્રણ આપ્યું છે. સમગ્ર ભારતભરમાંથી સાધુ-સંતો આ યજ્ઞમાં ભાગ લેવા આવી રહ્યા છે. જેમાં બ્રહ્મલીન મહંતો સેક્રેટરી બદ્રીગીરીજી, સભાપતિ ગીરજાદતગીરી, શંકરગીરી અને હીરાગીરી મહારાજ સહિતના સંતો સામેલ થશે. 18 એપ્રિલે યજ્ઞની વિધિવત શરૂઆત થશે. દીપ પ્રાગટ્ય પ્રસંગે અનેક મહાન સંતો ઉપસ્થિત રહેશે. ઢોલ-નગારા અને હાથી-ઘોડા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે. એક હજારથી વધુ સાધુ-સંતો એકસાથે પવિત્ર સ્નાન કરશે. યજ્ઞમાં સવા લાખ ગાયત્રી મંત્રના જાપ સાથે પૂર્ણાહુતિ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 1 Apr 2025 3:48 pm