SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

26    C
... ...View News by News Source

સન્ડે સ્ટોરી:સ્વચ્છતા એપમાં મહેસાણા શહેરના એકેય જાહેર શૌચાલયનું લોકેશન ઉપલબ્ધ નથી

ચિન્તેષ વ્યાસ, પ્રમોદ શાહ મહેસાણા શહેરના શૌચાલયની સ્થિતિ જાણવા દિવ્ય ભાસ્કર દ્વારા શનિવારે 20 સ્થળોની તપાસ કરાઇ હતી. શહેરના 6 સ્થળોએ મનપાના શૌચાલયો મળ્યાં. તેમાં પણ પરા ટાવર નજીકનું શૌચાલય જ એક એવું છે, જ્યાં સ્ત્રી–પુરુષ માટે જુદી સુવિધા છે. જ્યારે હૈદરીચોક, સિદ્ધપુરી બજાર, આઝાદ ચોક, કૃષ્ણનો ઢાળ અને ભમ્મરીયા નાળાનું શૌચાલય માત્ર પુરુષો માટે જ છે, જે મહિલાઓ માટે મોટી તકલીફ સર્જે છે. મનપાના 6 શૌચાલયોની સાથે શહેરના નાગલપુર કોલેજ નજીક, રાધનપુર સર્કલના પીકઅપ સ્ટેન્ડ, ગોપીનાળા બહાર અને રંજનના ઢાળ સહિતના ચાર સ્થળે પે-એન્ડ-યૂઝ શૌચાલયો છે. પરંતુ આ બધી સુવિધાઓ સ્વચ્છતા એ પ (MoHUA) માં દર્શાવવામાં જ આવી નથી, જેના કારણે નાગરિકો અથવા શહેરમાં આવતાં લોકોને કોઈ માહિતી મળતી જ નથી. સ્વચ્છતા એપમાં મહેસાણા શહેરના એકેય‎જાહેર શૌચાલયનું લોકેશન ઉપલબ્ધ નથી‎તપાસ દરમિયાન સ્વચ્છતા એપમાં શહેરના એક પણ જાહેર શૌચાલયનું લોકેશન ઉપલબ્ધ નથી. ઉપરાંત, એપના લોકેશનમાં પણ ગંભીર ગડબડી જોવા મળી. પરા વિસ્તારમાં એપ ખોલી તો તેને હૈદરીચોક બતાવ્યું, હૈદરીચોકમાં એપ ખોલી તો તે પાટીદારનગર બતાવે છે અને બિલાડીબાગ વિસ્તારમાં પ્રયત્ન કરતાં એપ ફુવારા સર્કલ (આત્મારામ કાકા રોડ) બતાવી રહી છે. સ્વચ્છતા એપમાં દરેક સ્થળનું ખોટું લોકેશન અને શૌચાલયનો પત્તો નહીંશહેરમાં મનપાના 6‎શૌચાલયોની હાલત‎દયનીય છે.‎સાફ-સફાઇના અભાવે‎તેનો ઉપયોગ તો દૂરની‎વાત છે, ત્યાંથી પસાર‎થવું પણ મુશ્કેલ છે.‎અત્યંત દુર્ગંધ મારે છે.‎‎

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 6:28 am

સ્ટોપેજ:પાટણ-મુંબઈ-દિલ્હી સીધી ટ્રેન શરૂ કરવા, એક્સપ્રેસ ટ્રેનને પાટણમાં સ્ટોપેજ આપો

અમદાવાદ ખાતે મળેલી રેલવે વિભાગની બેઠકમાં પાટણ સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા મત વિસ્તારને લગતી 10 જેટલી રેલવેની રજુઆત ઉપસ્થિત અધિકારીઓને લેખિતમાં કરી હતી.જેમાં મુખ્યત્વે નવીન બની રહે રેલવે સ્ટેશન ઝડપથી પૂર્ણ કરવા માંગ કરી હતી જેને લઇ વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર દ્વારા તમામ બાબતોને સાંભળી રજૂઆતનો હકારાત્મક અભિગમ સાથે પાટણની રેલવે સ્ટેશનની કામગીરી ઝડપથી પૂર્ણ થાય માટે પ્રયાસ કરાશે તેવું જણાવ્યું હતું. પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ મતવિસ્તાર સંબંધિત રેલવેના વિવિધ મહત્વપૂર્ણ પ્રશ્નોની રજૂઆત કરી છે.જેમાં પાટણ–મુંબઈ-દિલ્હી સીધી ટ્રેન શરૂ કરવી,લોકલ/ડેમુ સેવા વધારવી, રાધનપુર–અમદાવાદ રેલ કનેક્ટિવિટી કરવી,કાકોશી રેલવે લાઇનને પાટણ–પાલનપુર રૂટ સાથે જોડવાની કામગીરી કરવી,એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ પાટણના પ્લેટફોર્મ નં. 1 ઉપર આપવામાં આવે, વલસાડ–વડનગર ટ્રેનનો વિસ્તરણ વરેઠા સુધી કરવામાં આવે ચાણસ્મા–હારિજ–સમી– રાધનપુર નવી રેલવે લાઇનને મંજૂરી અને કાર્ય ઝડપથી શરૂ કરવી, સમાલપાટી રેલવે ગેટ પર અંડરપાસ મંજૂરી આપવી, પાટણ–વાપી વંદે ભારત ટ્રેન શરૂ કરવી તેમજ,પાટણના નવા રેલવે સ્ટેશનના કામમાં ઝડપ લાવવા માંગ કરી હતી.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 6:25 am

માગણી:50 ટકા પાક નુકસાન છતાં 3 તાલુકાના ખેડૂતોનો રાહત પેકેજમાં સમાવેશ નહીં

કમોસમી વરસાદમાં પાટણ, સરસ્વતી, ચાણસ્મા તાલુકાના ખેડૂતોને ખેતી પાકમાં નુકસાનો હોવા છતાં સરકારે કૃષિ રાહત પેકેજમાં આ વિસ્તારના ખેડૂતોનો સમાવેશ ન કરતાં ખેડૂતોની રજૂઆતોને આધારે ત્રણેય તાલુકાઓનો કૃષિ પેકેજમાં સમાવેશ કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. પાટણ જીલ્લાના પાટણ, સરસ્વતી અને ચાણસ્મા તાલુકાઓમાં ઓક્ટોમ્બર માસમાં છુટો છવાયો અને ઉપરાઉપરી વરસાદ થયેલ હતો. આ કમોસમી વરસાદથી કપાસ, કઠોળ અને ઘાસચારાના તૈયાર થયેલ પાકોને વ્યાપક નુકશાન થયેલ હતું, તેમજ તૈયાર પાકમાં પણ 50 ટકા કે તેથી વધુ ઉત્પાદનમાં નુકશાન થયેલ છે. વધુમાં દિવેલા અને રાયડા જેવા પાકની વાવણી નિષ્ફળ ગયેલ હતી, જે બાબતની પાટણ ધારાસભ્ય કિરીટ પટેલને ઘણી બધી રજૂઆતો મળી છે, ખેડૂતોને આટલુ મોટું નુકશાન થયેલ હોવા છતાં રાજય સરકાર દ્વારા ત્રણેય તાલુકાઓનો કૃષિ રાહત પેકેજમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. ત્યારે પાટણ જિલ્લાના પાટણ, સરસ્વતી અને ચાણસ્મા તાલુકાઓના ખેડૂતોનો કૃષિ રાહત પેકેજ માં સમાવેશ કરવા માટે મુખ્યમંત્રીને પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલે રજૂઆત કરી છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 6:22 am

ભાસ્કર ખાસ:પાટણ યુનિવર્સિટી કેમ્પસમાં દિવ્યાંગો માટે નવા શૈક્ષણિક વર્ષથી સ્પેશિયલ સર્ટિફિકેટ કોર્સ શરૂ થશે

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં નવા કોમન અંતર્ગત નિમણૂક થયેલા વિવિધ ફેકલ્ટીના ડીનોની બોર્ડ ઓફ ડીનની કુલપતિ અને રજીસ્ટ્રારની અધ્યક્ષતામાં વહીવટી ભવન ખાતે બેઠક મળી હતી જેમાં મુખ્યત્વે નવા શૈક્ષણિક વર્ષથી હાઇકોર્ટના નિદર્શ મુજબ હવે નવા શૈક્ષણિક વર્ષથી પાટણ યુનિવર્સિટી કેમ્પસમાં દિવ્યાંગો માટે સ્પેશિયલ ટૂંકા ગાળાના સર્ટિફિકેટ કોર્સિસ શરૂ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે અને તેના માટે આયોજન કરવા સ્પેશિયલ 4 સભ્યોની કમિટી પણ બનાવવામાં આવી છે. યુનિવર્સિટીમાં મળેલી બોર્ડ ઓફ ડીનની બેઠકમાં મુખ્યત્વે કેમ્પસમાં નવા કોર્સ શરૂ કરવા માટે જરૂરિયાત મુજબની કોલેજો પાસેથી અરજીઓ મંગાવી હતી જેમાં ઉત્તર ગુજરાતમાંથી કુલ 37 અરજીઓ કમિટીને મળી હતી. જેમાં બે અરજીઓ જુના અને વધુ પડતા કોર્સ ચાલી રહ્યા હોય તેની હોય વધુ નવી કોલેજો શરૂ ના કરવા યુનિવર્સિટીએ નિર્ણય લીધો હોય બે કોલેજની અરજીઓ પ્રથમ ચકાસણીમાં જ રદ કરવામાં આવી છે અને હાલમાં 35 નવા અભ્યાસક્રમોની જરૂરિયાત મુજબની કોલેજોની અરજીઓ ગ્રાહ્ય રાખવામાં આવી છે જેમાં ઉત્તર ગુજરાતમાં સાયન્સ ની એક અને બે આર્ટસની એમ મળી ત્રણ મહિલા કોલેજો શરૂ કરવા માટે પણ અરજીઓ મળી હોય તેને પ્રાથમિકતા આપીને હાલમાં ગ્રાહ્ય રખાઈ છે. સરકારમાંથી ઇન્ટર્ન ઓફ લેટર મળતા કોલેજોને ઝડપથી શરૂ કરવા માટે યુનિવર્સિટી દ્વારા મંજૂરી અપાશે. દિવ્યાંગ માટે ટૂંકા સમયના રોજગારી સાથે સ્કીલ ડેવલોપમેન્ટ લક્ષી કોર્સિસ શરૂ થશેકુલપતિ ડો.કે.સી. પોરિયાએ જણાવ્યું હતું કે દિવ્યાંગોને અનુરૂપ યોગ્ય રીતે શિક્ષણ મળી સાથે શિક્ષણ લઈ પણ શકે તેવી શૈલીમાં અને શિક્ષણ મેળવ્યા બાદ તેમને રોજગારી પણ મેળવી રહે અને તેમના જીવન ઘડતરમાં મદદરૂપ બને તેવા સ્કીલ ડેવલોપમેન્ટ સાથે રોજગારી આપે તેવા અભ્યાસ શરૂ કરવા માટે કમિટી દ્વારા નિષ્ણાતો સાથે ચર્ચા કરી કેમ્પસમાં કેવા કોર્સ શરૂ કરી શકાય તેની એક રૂપરેખા તૈયાર કરવામાં આવશે અને તેના આધારિત આ નવા કોર્સ શરૂ થશે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 6:20 am

માય સ્પેસ:ભરણપોષણનો ‘હક’: કરોડો મહિલાઓ પ્રતીક્ષા કરી રહી છે…

સામાન્ય મધ્યમ વર્ગીય ભારતીય સમાજની એક છોકરી જ્યારે લગ્ન કરે છે ત્યારે, એનાં સ્વપ્નો અને અપેક્ષાઓ બહુ બેઝિક હોય છે. ઓછું ભણેલી કે માતા-પિતાના કંટ્રોલમાં ઊછરેલી છોકરીઓ ઘર સંભાળતાં, સંતાનને જન્મ આપીને, એમનો ઉછેર કરતાં પોતાની જિંદગી પૂરી કરી નાખે છે. 50-60 વર્ષની ઉંમરે જ્યારે સંતાનો પોતાની જિંદગીમાં ગોઠવાઈ જાય, માતાની જવાબદારી લેવાનો ઈન્કાર કરે ત્યારે આર્થિક રીતે પતિ કે પુત્ર પર નિર્ભર આવી સ્ત્રીઓની હાલત દયનીય થઈ જતી હોય છે. છૂટાછેડા આપવામાં આવે, પતિનું મૃત્યુ થાય કે અમુક સમાજમાં પતિ બીજાં લગ્ન કરે ત્યારે આવી સ્ત્રીઓ એમનાં બાળકો સાથે લગભગ રસ્તા પર આવી જાય છે... આ સ્ત્રીઓ ભરણપોષણ માટે અદાલત સુધી પહોંચે એ પહેલાં એમણે કેટલો સંઘર્ષ અને કેટલી પીડા વેઠ્યાં છે એની કલ્પના ઉચ્ચ મધ્યમ વર્ગની, સોશિયલાઈટ, ‘વુમન્સ ડે’ ઊજવતી કે ‘મહિલા અધિકારો’ની વાતો કરતી મોટા ભાગની સ્ત્રીઓને નથી હોતી!આ દેશમાં બે પ્રકારની મહિલાઓ છે-એક, જેના લાખોનાં બિલ એમના પતિ ચૂકવે છે, બર્થ ડે પર ગાડી કે ડાયમંડ ગિફ્ટ મળે છે તેમ છતાં એમને લાગે છે કે, એ પીડિત અને શોષિત છે... બીજી, જે ખરેખર પીડિત છે-સંતાનોની જવાબદારી ઉઠાવીને મહેનત-મજૂરી કરે છે છતાં, ભારતની ન્યાયિક પ્રક્રિયામાં એમને ન્યાય મેળવતાં વર્ષો વીતી જાય છે, ને ક્યારેક તો હયાતીમાં ન્યાય મળતો જ નથી! ભારતની ફેમિલી કોર્ટ્સમાં જો થોડો સમય વિતાવીએ તો સમજાય કે બે-ત્રણ બાળકોની મા સાવ નજીવા ભરણપોષણ માટે કોર્ટના ધક્કા ખાય છે. તારીખ પર તારીખ પડે, પતિનો વકીલ પૈસા ખાઈને સ્ત્રીના વકીલ સાથે સાંઠગાંઠ કરે, એટલું જ નહીં, ક્યારેક ગરીબ અને મજબૂર માની જરૂરિયાત માટે એનું શારીરિક શોષણ કરવામાં આવે ત્યારે એક સવાલ આપણા સૌની સામે માથું ઉઠાવે છે, ‘છૂટાછેડા થયા પછી કોઈક એક સ્ત્રીની ઓળખ શું હોઈ શકે? એક્સ-પત્ની? સંતાનોની માતા? કોઈ એક પરિવારની એક્સ-પુત્રવધૂ?’ અત્યાર સુધી આ સવાલ વિશે ઘણી ગુસપુસ થતી રહી છે, પરંતુ સ્પષ્ટ ભાષામાં અને બેઝિક રીતે આ સવાલ હિન્દી સિનેમાના સ્ક્રીન પર જે રીતે પુછાયો છે એ કાબિલ-એ-દાદ છે. મૂળ કથા આજથી મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરમાં રહેતા શાહબાનોનો કેસની છે. 1978માં આ કેસ ચર્ચામાં હતો. 1985માં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વાય. વી. ચંદ્રચુડે આ કેસનો ચુકાદો આપતી વખતે ભરણપોષણ મેળવવાના દરેક મહિલાના અધિકારને માન્ય રાખતા મુસ્લિમ પર્સનલ લૉ અને કોમન સિવિલ કોર્ટ વચ્ચે ઊભા થયેલા રાજકીય મુદ્દાને ભૂંસી નાખતા સ્ત્રીઓના અધિકારો અને ભારતીય સમાજમાં થતા સ્ત્રીના અપમાન વિશે વિશેષ ટિપ્પણી કરતાં કહ્યું હતું, ‘CrPC (ક્રિમિનલ પ્રોસિજર કોડ)ની કલમ 125 એક ધર્મનિરપેક્ષ કલમ છે, જે ભારતની નાગરિક હોય એવી તમામ મહિલાઓને લાગુ પડે છે. આમાં મુસ્લિમ પર્સનલ લૉ કે હિન્દુ લૉનું અલગ અર્થઘટન થવું જોઈએ નહીં.’ સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પછી, 1986માં રાજીવ ગાંધી સરકારે આ ચુકાદાનું અભિવાદન-સમર્થન પણ કર્યું. સરકાર તરફથી જવાબ આપવા માટે આરિફ મહોમ્મદ ખાને સંસદમાં ભાષણ આપ્યું, પરંતુ થોડાક જ વખત પછી ઠેકઠેકાણે થયેલાં કટ્ટરપંથી પ્રદર્શનો અને વિરોધને કારણે સુપ્રીમ કોર્ટના ચુકાદાને પલટાવીને એક જુદું જ બિલ રજૂ કરવામાં આવ્યું. કાયદામંત્રી અશોકકુમાર સેન દ્વારા રજૂ કરવામાં આવેલું આ બિલ કાયદો બની ગયું. એ કાયદાનું નામ આપવામાં આવ્યું, ‘પ્રોટેક્શન ઓફ રાઈટ્સ ઓન ડિવોર્સ એક્ટ 1986’. જોગવાઈ એવી કરવામાં આવી કે, મુસ્લિમ મહિલા તલાક બાદ એક યોગ્ય રકમ મેળવવાની હકદાર છે, પરંતુ ત્રણ મહિનાના સમયગાળાની અંદર અંદર આ રકમ એને મળે, પરંતુ ત્યાર બાદ આવી કોઈ રકમ આપવાની રહેતી નથી...આ કાયદાને 2001માં પાંચ જજોની બેન્ચ સમક્ષ ફરી પડકારવામાં આવ્યો, પરંતુ એનું કોઈ યોગ્ય નિરાકરણ મળ્યું નહીં. 2019માં આખરે નરેન્દ્ર મોદીની સરકારે ટ્રિપલ તલાકને નાબૂદ કરતો કાયદો પસાર કર્યો. 2024ના એક કેસમાં બે જજ, જસ્ટિસ બીવી નાગરથના અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસિહે ફરી એકવાર 1985ના એ ચુકાદાને સમર્થન આપ્યું છે. ફિલ્મમાં અંતે યામી ગૌતમ કહે છે, ‘પઢ!’ આ માત્ર અર્થ એ થયો, કે ‘જાણ!’-માહિતી-જ્ઞાન મેળવવાનો પ્રયાસ કર. આ વાત તો આપણા ઉપનિષદ પણ કહે છે, ‘પરિપ્રશ્નેન’ (પ્રશ્ન પૂછીને જ્ઞાન પ્રાપ્ત કર) સત્યં જ્ઞાનમનન્ત બ્રહ્મ (સત્ય, જ્ઞાન અને અનન્ત આજ બ્રહ્મ છે) મુસ્લિમ પુરુષ માત્ર ત્રણ વખત ‘તલાક!’ કહીને પત્નીને છોડી ન શકે, એ માત્ર સંવિધાન નહીં, શરિયત પણ છે-એ વાત ‘હક્ક’માં હિંમતપૂર્વક કહેવામાં આવી છે. આપણા દેશમાં ભણેલી-ગણેલી કહેવાતી ડિગ્રીધારી મહિલાઓને પણ પોતાના અધિકારો વિશે બહુ જ ઓછી માહિતી હોય છે. આ દેશનું દુર્ભાગ્ય છે કે, માતા-પિતા પણ દીકરીને કાયદા સમજાવવાને બદલે લગ્ન અને પતિના બેન્ક બેલેન્સ અને સાસરિયાંની પ્રતિષ્ઠા સાથે જોડાયેલા ‘ફાયદા’ સમજાવવામાં વધુ સમય અને શક્તિ ઈન્વેસ્ટ કરે છે. સવાલ માત્ર ‘વુમન એમ્પાવરમેન્ટ’ પૂરતો મર્યાદિત નથી. આપણે સમજવું જોઈએ કે, સરકાર મહિલાઓના ઉત્થાન માટે ઘણો પ્રયાસ કરી રહી છે. જાતીય શોષણ, બળાત્કાર, વારસાઈ અધિકાર અને લગ્ન અથવા લિવ ઈન સાથે જોડાયેલા ભરણપોષણ અંગે અનેક કાયદાઓ ઘડવામાં આવ્યા છે. મોટા ભાગની મહિલાઓ પોતાના અધિકારો જાણતી નથી માટે ‘બાપડી-બિચારી’ થઈને પોતાનાં અને સંતાનોના ભવિષ્ય અંગે અસુરક્ષિત રહે છે. છૂટાછેડા થાય કે લિવ ઈનમાં રહેતાં યુગલ છૂટાં પડે ત્યારે એક મહિલા સાથે સમાજ જે રીતે વર્તે છે એના પ્રમાણમાં એક પુરુષને ઘણી વધારે છૂટછાટ અને સ્વતંત્રતા મળે છે.‘ડિવોર્સી’નું લેબલ લાગ્યા પછી માત્ર પુરુષો જ નહીં, સ્ત્રીઓ પણ અન્ય સ્ત્રીઓને ‘જુદી નજરે’ જુએ છે, એ વાતને નકારી શકાય એમ નથી. ખાસ કરીને, જ્યારે સંતાન સાથે એક મહિલાને ઘરમાંથી કાઢી મૂકવામાં આવે, વિધવા થાય કે પુરુષના લગ્નેતર સંબંધોને કારણે એની સાથે અન્યાય થાય ત્યારે એના પોતાનાં ભવિષ્ય અને સંતાનોનાં ભવિષ્ય માટે યોગ્ય આર્થિક સુરક્ષા મળવી જ જોઈએ. એવો આગ્રહ મહિલાએ પોતે જ રાખવો જોઈએ. નવાઈની વાત એ છે કે, પુરુષના પરિવારના સદસ્યો-(સ્ત્રીઓ પણ), આ બાબતમાં સ્ત્રીનો પક્ષ લેવાને બદલે પુરુષનો પક્ષ લેતી હોય છે! જોકે, કાયદાનો દુરુપયોગ ખૂબ થાય છે, એ વાત સ્વીકારી લઈએ, તો પણ આપણા સમાજમાં સ્ત્રી સાથે થતા અન્યાય માટે અવાજ ઉઠાવનારી મહિલાઓની સંખ્યા પ્રમાણમાં જુજ અથવા નહીંવત્ છે. 1982માં રજૂ થયેલી ફિલ્મ ‘અર્થ’માં પત્નીને છૂટાછેડા આપીને અન્ય સ્ત્રી સાથે લિવ ઈનમાં રહેવા જતો રહેલો પતિ પાછો ફરે છે ત્યારે પત્ની એને પૂછે છે, ‘હું તારી જગ્યાએ આવું કરત તો તું મને સ્વીકારી લેત?’ પતિ પાસે જવાબ નથી...આજે, ‘હક’ની શાઝિયાબાનો પૂછે છે, ‘બાળકો માત્ર મારાં છે? તો એના ઉછેરની જવાબદારી માત્ર મારી જ કેવી રીતે હોઈ શકે?’

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 6:20 am

ભાસ્કર એક્સક્લૂસિવ:પાટણમાં સુદામા ચોકડીથી શિહોરી ત્રણ રસ્તા સુધી 6 કિમીનો હાઈવેને હેરિટેજ લુક અપાશે

ચાણસ્મા–પાટણ–ડીસા રાજ્યઘોરી માર્ગની આધુનિકરણનું આયોજન કરાયું છે જેમાં પાટણ શહેરના પ્રવેશ પોઇન્ટ સુદામા ચોકડીથી લઈ શહેરમાંથી પસાર થઈ ડીસા-શિહોરી હાઈવે ત્રણ રસ્તા સુધીના અંદાજે 6 કિમીનો હાઈવે કુલ 55.80 કરોડના ખર્ચે હેરિટેજ લૂક આપીને મોર્ડન બનાવવા માટે કામગીરી શરૂ કરી છે. જેમાં પ્રથમ તબક્કામાં હાઇવે પર ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે બંને તરફ સ્ટોર્મ વોટર અંડરગ્રાઉન્ડ લાઈન નાખવાનું કામ શરૂ કર્યું છે જે લાઈન સંપૂર્ણ રીતે અંડરગ્રાઉન્ડ ફીટીંગ બાદ પંમ્પિગ સ્ટેશનમાં કનેક્શન થતા હાઇવે ઉપર પાણી ભરાવાની સમસ્યા કાયમી ધોરણે દૂર થશે.માર્ચ 2026 સુધીમાં રોડની કામગીરી પૂર્ણ થશે. પાટણમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઐતિહાસિક નગરી પાટણમાં પ્રવેશ પોઇન્ટ ચાણસ્મા હાઇવે ઉપર સુદામા ચોકડીથી ત્રણ રસ્તા સુધીના 6 કિમીના હાઇવેની નવીનીકરણ કરી રોડને હેરિટેજ લૂક આપી વર્લ્ડ-ક્લાસ સુવિધાઓ સાથે પુનઃનિર્માણ કરાશે.જેમાં હાઈવેની બંને બાજુ આર.સી.સી. ગટર લાઈન, સ્ટ્રોમ વોટર ડ્રેઈન, ફૂટપાથ, રેલિંગવાળી સ્ટ્રીટલાઈટ્સ, રોડ ફર્નિચર અને સી.સી. ક્રેશ બેરીયર્સ સ્થાપિત કરાશે. વધુ ટ્રાફિકવાળા સ્થળોએ હાઈ માસ્ટ લાઈટ્સથી રાત્રિ સમયમાં માર્ગ પ્રકાશિત થશે. રોડની સાઈડ ઉપર રાણકીવાવ પટોળાના પ્રતિબિંબ મુકાશે હાઇવે ઉપર સૌપ્રથમ વરસાદી પાણી ભરાવાની સમસ્યા હલ કરવા માટે સ્ટોર્મ વોટર લાઈનની પૂર્ણ થતા રોડને હેરિટેજ થીમ મુજબ સુશોભિત કરવા માટે રોડની સાઈડ પર રાણકી વાવ, પટોળા જેવી પાટણની સૌંદર્ય અને ઇતિહાસ પ્રદર્શિત કરતા પ્રતિબિંબો મૂકાશે. જેથી શહેરમાં પ્રવેશતા જ પ્રવાસીઓને પાટણની પ્રભુતા અંગે માહિતગાર થશે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 6:19 am

લારીઓના દબાણ:પાટણમાં નવા બસ સ્ટેશન રોડ ઉપરની દુકાનોના દબાણ હટાવ્યા પરંતુ લારીઓના દબાણ યથાવત્

પાટણ નગરપાલિકા અને પોલીસ દ્વારા નવીન બસ સ્ટેશન શરૂ થવાનું છે.જેને લઈ બસ પસાર થવાના રૂટ ઉપર તંત્ર દ્વારા બસ સ્ટેન્ડ આજુબાજુ વિસ્તારમાંથી રસ્તો ખુલ્લો કરવા દુકાનો બહાર કરેલા છત અને ઓટલાના પાકા દબાણો તોડી પાડવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ આ રૂટ ઉપર સાંજના સમયે શાકભાજી અને ખાણીપીણીનાં લારીઓ અડીંગો જમાવી દેતા ટુવે રસ્તા ઉપરનો એક તરફનો ભાગ બ્લોક થઈ જતો હોય વાહન ચાલકોને પસાર થવામાં મુશ્કેલી પડે છે.ત્યારે મોટી બસો આ રૂટ ઉપરથી વાર પસાર થશે તો ટ્રાફિકની સમસ્યા ઊભી થશે. જેથી સ્થાનિક વેપારીઓ દ્વારા આ રસ્તા ઉપરથી રાત્રે અને દિવસ દરમિયાન રસ્તા ઉપર અડચણ રૂપ ઉભી રહેતી લારીઓ પણ હટાવી રસ્તો સાચા અર્થમાં ખુલ્લો કરવામાં આવે તેવી માંગ કરી હતી.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 6:18 am

ભાસ્કર ઈનસાઈડ:ગોડાઉનમાં ચાલતી ફેક્ટરીમાં 10.81 લાખનું ઘી સીઝ, સોયાબિન અને પામોલીન તેલની ભેળસેળ કરી શુદ્ધ ઘી બનાવવાની શંકા

પાટણનાં ધારપુર પાસે ગોડાઉનમાં ચાલતી ઘીની ફેક્ટરીમાં એલસીબી પોલીસની ટીમે રેડ કરી ગોડાઉનમાંથી માવજત પ્યોર કાઉ ઘીનામનાં શંકાસ્પદ ભેળસેળ વાળા બનાવટી ઘી, સોયાબીન તેલ અને પામોલિન ઓઇલ ભરેલા રૂ.10.81 લાખનાં 6,140 નાની મોટી સાઈઝના ડબ્બા બોક્સ અને પાઉચ સીઝ કર્યા છે. તેની ગુણવત્તા અંગેની તપાસ કરવા માટે ફૂડ વિભાગની ટીમે સેમ્પલ લઈ પૃથકરણ માટે લેબમાં મોકલ્યા છે.આ ફેક્ટરીમાં વનસ્પતિ ઘી, સોયાબીન અને પામતેલ, કેમિકલ અને કલર મિક્સ કરી માવજત પ્યોર કાઉ ઘીના નામે પેકિંગ કરી શંકાસ્પદ બનાવટી ઘીનું વેચાણ કરાતું હોવાની પોલીસને આશંકા છે. પાટણ-ઊંઝા રોડ પર ધારપુર નજીક આવેલાં રોયલ બિઝનેસ પાર્ક નામના કોમ્પલેક્ષમાં પાટણનાં પ્રકાશ વ્રજલાલ મોદીનાં ગોડાઉન નંબર 17,11માં માવજત પ્યોર કાઉ ઘીનામનું શંકાસ્પદ ભેળસેળ વાળું ઘી બનાવે છે તેવી પાટણ એલસીબીને બાતમી મળતાં એલ.સી.બી પીઆઇ રાકેશ ઉનાગરની સૂચનાથી પોલીસે તે હકીકત બાબતે ખરાઈ કરી હતી જેમાં હકીકત સાચી જણાતાં પોલીસે રેડ કરી શંકાસ્પદ ભેળસેળવાળા માવજત પ્યોર કાઉ ઘી લેબલ વાળા તેમજ લેબલ વગરનાં અલગ અલગ સાઈઝનાં 6013 ડબ્બા, ટીન, પાઉચ મળી રૂ.5,35,200નાં કુલ 1584 કિલો જથ્થો અને ભેળસેળવાળું ઘી બનાવવા માટે ઉપયોગ કરાતાં સોયાબીન તેલ, પામતેલના રૂ.5,45,810નાં 3,255 કિલોના 217 બોક્સ, ડબ્બા મળી કુલ રૂ10,81,010નો જથ્થો સીઝ કર્યો હતો. વેપારી ડીસાનાં ધ્રુમિલ અશ્વિનભાઈ મોદી, પાટણનાં પ્રકાશ વ્રજલાલ મોદીની એલસીબીની ટીમે પૂછપરછ કરી આ અંગે રણુંજ પોલીસ મથકે જાણવા જોગ નોંધ કરી છે. પોલીસ ફેક્ટરીમાંથી કેમિકલ અને કલર પણ મળી આવ્યો હતો.જે પૃથક્કરણ માટે એફએસએલમાં મોકલવામાં આવશે.તેવુ એલસીબી પોલીસે જણાવ્યું હતું. જોકે આ મામલામાં ફૂડ વિભાગે ઘી અને તેલનાં 10 સેમ્પલ લઇ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. તેના રિપોર્ટ આવ્યા બાદ તેનાં આધારે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ 2006 નીચે કાર્યવાહી થશે. ઉ.ગુ.ના નાના સેન્ટરોમાં ધીનું વેચાણ કરાતું હતુંરોયલ બિઝનેસ પાર્ક કોમ્પ્લેક્સમાં ભાડાની ત્રણ દુકાનોમાં છેલ્લા એક વર્ષથી આ વેપારીઓ ઘી બનાવવાનું કામ કરતાં હતા. પહેલાં છુટક કામ કરતાં હતા પરંતુ છ માસથી મોટાપાયે કામ શરૂ કર્યું હતું. તેઓ ડ્રમમાં વનસ્પતિ ઘી, સોયાબીન તેલ, કેમિકલ અને કલર મિક્સ કરી ગરમ કરતા હતા અને તે ઠંડુ પાડીમાવજત’નાં નામથી ગાયના શુદ્ધ ઘી તરીકે પેકિંગ કરી 500 ગ્રામ એક લિટરના ડબ્બા અને પાઉચના પેકિંગ કરી બજારમાં વેચાણ કરતાં હતાં. આ શંકાસ્પદ ભેળસેળવાળું ઘી ઈકબાલગઢ, ભાભર, ડીસા, મહેસાણા, ભીલડી, ધાનેરા અને રાધનપુરની બજારમાં વેપારીઓને વેચાણ થતું હતું. મહિને લગભગ 200થી 300 પાર્સલનું વેચાણ થતું હતું. તેઓ ડીસા અને પાટણનાં વેપારીઓ પાસેથી વનસ્પતિ ઘી અને સોયાબીન તેલનો જથ્થો લાવતા હતા.તેવુ એલસીબી પી.એસ.આઇ એસ.બી સોલંકીએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 6:17 am

કારને આગ ચાંપી:ભાડેથી લાવેલી કારમાં પેટ્રોલ છાંટી બે શખ્સે સળગાવી દીધી

રાજકોટના ચામુંડાનગરમાં રહેતા અને રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતાં અનિકેત મનોજભાઇ રાઠોડે (ઉ.વ.26) માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સોનું અને કાલી નામના બે શખ્સના નામ આપ્યા હતા. અનિકેતે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.21ના તેનો જન્મદિવસ હોવાથી બહારગામ જવાનું હોય તેણે તા.20ના તેના મિત્ર મિલન કક્કડ પાસેથી તેની વર્ના કાર ભાડેથી લીધી હતી અને તે કાર રાત્રીના ઘરની બહાર પાર્ક કરી હતી. શુક્રવારે રાત્રે બે વાગ્યે તેનો નાનોભાઇ અમન બાથરૂમ કરવા જાગ્યો ત્યારે ઘરની બહાર પાર્ક કરેલી કારમાં આગ લાગી હતી અને ધુમાડા દેખાતા તેણે ઘરના તમામ સભ્યોને જગાડ્યા હતા, જાણ કરાતાં ફાયરબ્રિગેડ દોડી ગઇ હતી અને તેણે પાણીમારો ચલાવી આગ બુઝાવી નાખી હતી. શનિવારે સવારે અનિકેતે તેના પાડોશમાં ઘરની બહાર લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા તો સોનું અને કાલી શેરીમાથી એક બાઇક પર ભાગતા જોવા મળ્યા હતા અને તપાસ કરતાં તે બંનેએ જ્વલનશીલ પ્રવાહી છાંટી કારને આગ ચાંપી હોવાનું સ્પષ્ટ થયું હતું. અનિકેતે જણાવ્યું હતું કે, સોનુંના ભાઇ અનકેત સાથે છ મહિના પહેલા બર્થડે પાર્ટીમાં સામાન્ય બોલાચાલી થઇ હતી અને તે વખતે તેણે અનિકેતને ઠપકો આપ્યો હતો જેનો ખાર રાખી સોનું અને કાલીએ કારને આગ ચાંપી હતી.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 6:16 am

મંદિરમાં ચોરી:ખાટુ શ્યામ મંદિરની દાનપેટી તોડી તસ્કર 65 હજાર તફડાવી ગયો

શહેરના જામનગર રોડ પર કર્નલ બંગલાની બાજુમાં આવેલા ખાટુ શ્યામ મંદિરની દાનપેટી તોડી તસ્કર રૂ.65 હજાર તફડાવી ગયો હતો. મંદિરના પૂજારી રીષીકુમાર વનમાળી શર્માએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઉપરોક્ત સ્થળે ખાટુ શ્યામ મંદિર બની રહ્યું છે પોતે ત્યાં ચાર મહિનાથી પરિવાર સાથે રહી મંદિરમાં સેવા પૂજા કરે છે. તા.21ના સવારે પોતે મંદિરે પૂજા માટે ગયા ત્યારે મંદિરની દાનપેટીનો દરવાજો તૂટેલો હતો અને દાનપેટી ખાલી હતી, બાજુમાં હાથાવગરનું ત્રિકમ પડ્યું હતું. મંદિરના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા તો રાત્રીના કોઇ અજાણ્યો શખ્સ મંદિરમાં આવ્યો હતો અને ત્રિકમથી દાનપેટી તોડતો દેખાયો હતો અને તે દાનપેટીમાંથી રૂ.65 હજાર ઉઠાવી ગયો હતો. પોલીસે ફૂટેજના આધારે તસ્કરની ઓળખ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 6:15 am

અસમાજીક તત્વોનો આતંક:રાજકોટમાં રામવન નજીક ખાનગી બસ પર પથ્થરમારો, મુસાફરો ફફડ્યા

શહેરની ભાગોળે આજીડેમ નજીક રામવન પાસે શુક્રવારે રાત્રે ખાનગી બસ પર કોઇ અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કરતાં બસના કાચ ફૂટી ગયા હતા, પથ્થરમારાથી બસના મુસાફરોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. ખાનગી ટ્રાવેલ્સ એસોસિએશનના પ્રમુખ દશરથભાઇ વાળાએ આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ એ.બી.જાડેજા સમક્ષ રજૂઆત કરી હતી કે, શુક્રવારે રાત્રીના 11 વાગ્યાના અરસામાં રાજકોટ અમદાવાદ હાઇવે પર આજીડેમના પૂલ નજીક રામવન પાસેથી વડોદરા, સુરત, પૂના અને મુંબઇ તરફ જઇ રહેલી ખાનગી બસો પર પથ્થરમારો શરૂ થયો હતો. મુસાફરોને લઇને જઇ રહેલી બસ પર અચાનક જ ધાણીફૂટ પથ્થરમારો થતાં બસના ડ્રાઇવર-ક્લિનર ડઘાઇ ગયા હતા અને મુસાફરોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. આઠ બસ પર પથ્થરમારો થયાનો તેમણે દાવો કર્યો હતો અને ઘટનાના કેટલાક વીડિયો પણ પોલીસ સમક્ષ રજૂ કર્યા હતા. આ મામલે પીઆઇ જાડેજાએ જણાવ્યું હતું કે, રામવન નજીક બસ પર પથ્થરમારો કરાયાની રાવ મળતાં જ તપાસ શરૂ કરવામાં આવી છે, વીડિયો મુજબ બે બસ પર હલ્લો થયાનું દર્શાય છે, ઘટનાસ્થળ નજીક કોઇ સીસીટીવી કેમેરા ન હોવાથી બાતમીદારોને કામે લગાડી હુમલાખોરોની ભાળ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણેક મહિના પહેલા પણ ગોંડલ રોડ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી સુધીમાં બાઇકમાં ધસી આવેલા શખ્સોએ ખાનગી બસો પર પથ્થરમારો કર્યો હતો. તે હુમલાખોરો હજુ સુધી પોલીસને મળ્યા નથી ત્યાં વધુ એક વખત આવી ઘટના બનતા ટ્રાવેલ્સ સંચાલકો અને મુસાફરોમાં ભયનું લખલખું પ્રસરી ગયું હતું.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 6:15 am

કોટેચા ચોકમાં NSUIનો વિરોધ:શિક્ષકોને SIR કામગીરીમાંથી મુક્તિ આપવાની માગણી સાથે NSUIનું રસ્તા રોકો આંદોલન

રાજકોટમાં શનિવારે મુખ્યમંત્રીના કાર્યક્રમના દિવસે જ કોડીનારમાં શિક્ષકના SIRની કામગીરીના બોજથી આપઘાતની ઘટનાના અનુસંધાને એનએસયુઆઇ દ્વારા લડતનાં મંડાણ કરાયા હતા અને કોટેચા ચોકમાં રસ્તા રોકો આંદોલન કરતા વાહનોના થપ્પે થપ્પા લાગી ગયા હતા. એનએસયુઆઇના પ્રમુખ સહિતના કાર્યકરોની અટકાયત કરવા બળપ્રયોગ કર્યો હતો જેમાં એનએસયુઆઇના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થતા પ્રમુખ નરેન્દ્ર સોલંકી બેભાન થઇને ઢળી પડયા હતા. પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, SIRની કામગીરીના ભારણને કારણે ગુજરાતમાં બે શિક્ષકોએ આત્મહત્યા કરી લીધી છે. તેમના પરિવારને રૂ.1-1 કરોડ આપવા અને શિક્ષકોને બીએલઓની કામગીરીમાંથી મુક્ત કરવા કાર્યક્રમ આપ્યો હતો. જે દરમિયાન પોલીસે મારા સહિત 15 કાર્યકરોની અટકાયત કરી હતી.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 6:13 am

શાકભાજીના ઉતારામાં ભારે ઘટાડો:બનાસકાંઠા જિલ્લામાં માવઠાના કારણે ખેતીને નુકસાન થતાં શાકભાજીના ઉતારામાં ભારે ઘટાડો

પાલનપુર સહિત જિલ્લામાં કમોસમી વરસાદના કારણે શાકભાજીના ઉતારામાં ભારે ઘટાડો થયો છે, જેના કારણે બજારમાં માગ સામે પુરવઠો ઓછો પડ્યો છે. પરિણામે લીલા શાકભાજીના ભાવોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. વટાણા, ધાણા, તુવેર, રીંગણ, ગવાર, ભીંડા, તુરા પાપડી, આદુ સહિતના મોટા ભાગના શાકભાજી રૂ.100 પ્રતિ કિલોની રેન્જે પહોંચતાં ગરીબ અને મધ્યમ વર્ગની થાળીમાં લીલા શાકભાજી લગભગ ગાયબ થઈ ગયા છે. બનાસકાંઠા જિલ્લામાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે. અચાનક પડેલા માવઠાની અસર શાકભાજીની ખેતી પર પણ જોવા મળી છે. ઘણા ખેડૂતોના પાક વરસાદથી બગડતા બજારમાં ઉતારો ઘટ્યો છે. ઉતારો ઓછો આવતા વેપારીઓએ પણ પુરવઠો નિયંત્રણમાં રાખતા બજારમાં ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. શિયાળુ શાકભાજી વટાણા, ધાણા, તુવેર, રીંગણ, ગવાર, ભીંડા, તુરા પાપડી, આદુ, મરચાં સહિતના લીલા અને સિંગોવાળા શાકભાજીના ભાવો 80થી 100 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. સામાન્ય રીતે 20થી 40 રૂપિયામાં મળતું શાક હાલ દોઢથી બે ગણો મોંઘું થતાં ગૃહણી ઓના બજેટ પર ભારે બોજો પડી રહ્યો છે. વેપારીઓનું માનવું છે કે, આવનારા દિવસોમાં ભાવોમાં થોડી રાહત મળી શકે. જોકે હાલની પરિસ્થિતિને જોતા એકાદ અઠવાડિયા સુધી ભાવ સ્થિર રહેવાની અથવા વધુ વધવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. સૌથી મોટો ફટકો ગરીબ અને મધ્યમ વર્ગની ગૃહણીઓને પડી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 6:13 am

ઉમદા સંકલ્પ:પુસ્તક પ્રદર્શનમાં 700 વિદ્યાર્થીઓએ સંકલ્પ લીધો, ‘અમે રોજ પુસ્તક વાંચીશું’

દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા પ્રેરિત સંસ્થા સાહિત્ય સેતુ રાજકોટ દ્વારા રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી અંતર્ગત પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરોજીની નાયડુ શાળાની 400થી વધુ વિદ્યાર્થીનીઓ તથા ડો. શ્યામપ્રસાદ મુખરજી પ્રાથમિક શાળા નં.69ના 300થી વધુ છાત્રોએ પુસ્તક પ્રદર્શન નિહાળી તથા નિયમિત વાંચન કરશે તેવો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ મહાનુભાવોના જીવન ચરિત્ર પરના પુસ્તકો પસંદ કરતાસંસ્થાના સંયોજક અનુપમભાઇ દોશીએ જણાવ્યું હતું કે, પ્રદર્શનમાં ધાર્મિક, સામાજીક, નવલકથા, વિજ્ઞાન, જીવન ચરીત્ર સહિતની પુસ્તકો રખાઇ હતી. તેમાંથી છાત્રો ગાંધીજી, વીનોબાભાવે, વિવેકાનંદ સહિતના મહાનુભવોની જીવન ચરીત્ર પરની પુસ્તકો વધુ પસંદ કરતા હતા.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 6:12 am

DGP’s Commendation Disc એનાયત કરાશે:જસરામાં ડબલ મર્ડર કેસનો ગુનો ગણતરીના દિવસોમાં ડિટેક્ટ કરનાર ડીસા ડીવાયએસપી ચંદ્રસિંહ સોલંકીને DGP’s Disc એનાયત કરાશે

વર્ષ દરમિયાન કરવામાં આવેલી શ્રેષ્ઠ અને પ્રશંસનિય પોલીસ સેવાઓ માટે રાજ્યભરના 110 અધિકારી-કર્મચારીઓને DGP’s Commendation Disc એનાયત કરવામાં આવશે. ઉત્તર ગુજરાતમાંથી એકમાત્ર ડીસા ડીવાયએસપી ચંદ્રસિંહ સોલંકીની પસંદગી થઇ છે, જેમણે જસરામાં ડબલ મર્ડર કેસ ઝડપથી ડિટેક્ટ કરીને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. આ પ્રતિષ્ઠિત સન્માન સમારોહ 25 નવેમ્બર 2025ના રોજ નવા વિદ્યાભવન ઓડિટોરિયમમાં બપોરે 3:30 વાગ્યે યોજાશે. ગુજરાત પોલીસ વિભાગે વર્ષ 2024 દરમિયાન નોંધપાત્ર અને પ્રશંસનીય કામગીરી કરનાર 110 પોલીસ અધિકારી-કર્મચારીઓને DGP’s Commendation Disc-2024 માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં ઉત્તર ગુજરાતમાંથી માત્ર ડીસા ડીવાયએસપી ચંદ્રસિંહ સોલંકીની પસંદગી કરવામાં આવી છે. આ સન્માન સમારોહ 25 નવેમ્બર 2025ના રોજ ગુજરાત પોલીસ અકાદમીના નવા ઓડિટોરિયમમાં બપોરે 3:30 વાગ્યે યોજાશે. ડીસા ડીવાયએસપી ચંદ્રસિંહ સોલંકી છેલ્લા દોઢ વર્ષથી ડીસા ડિવિઝનમાં ફરજ બજાવી રહ્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે જાસરામાં ડબલ મર્ડર કેસ, દાંતીવાડા નજીક અપહરણ કેસ, H.M. આંગડીયા પેઢી લૂંટનો ગુનો અને જૂનાડીસા ગોડાઉનમાં ગેરકાયદેસર ફટાકડા બનાવવાની ઘટના સહિત અનેક ગંભીર ગુનાઓ ઝડપથી અને અસરકારક રીતે ડિટેક્ટ કર્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળ SIT ટીમ અને સ્થાનિક પોલીસ સ્ટેશનોના સંકલનથી તમામ પુરાવા એકત્રિત કરીને આરોપીઓને ઝડપથી પકડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આમ ડીસા ડીવાયએસપી ચંદ્રસિંહ સોલંકીની આ સર્વોત્તમ કામગીરીને કારણે તેમને રાજ્યના સૌથી પ્રતિષ્ઠિત સન્માન માટે પસંદ કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 6:11 am

ભાસ્કર ફોલોઅપ:CCDCમાં ડિરેક્ટર બનવા માગતા ઉમેદવારનો જ રિક્રૂટમેન્ટ બોર્ડની કમિટીમાં કર્યો હતો સમાવેશ

રાજકોટસૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં CCDC અને IQACમાં ડિરેક્ટરની જગ્યા પર ભરતી માટે સિનિયર અને અનુભવી ઉમેદવારો અરજી ન કરી શકે તે માટે યુજીસીના તમામ નીતિનિયમોનો ઉલાળિયો કરી વયમર્યાદા 50 વર્ષની કરી નાખ્યાના કારસ્તાનનો ‘દિવ્ય ભાસ્કરે’ પર્દાફાશ કર્યા બાદ હવે નવી ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી છે. જેમાં સીસીડીસીમાં ડિરેક્ટર બનવા ઇચ્છુક એક ઉમેદવારે જ રિક્રૂટમેન્ટ બોર્ડની કમિટીમાં સ્થાન મેળ‌વી યુજીસીના નિયમ બહારની વયમર્યાદાની કલોઝ ઉમેરી દીધાનું પ્રકાશમાં આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિ.માં ભરતી પ્રક્રિયા માટે કુલપતિ ડો.ઉત્પલ જોશી દ્વારા રિક્રૂટમેન્ટ બોર્ડની રચના કરવામાં આવી છે જેમાં કોમર્સ ડિપાર્ટમેન્ટના ડો.શૈલેષ પરમાર, ડો.જયસુખ મારકણા, ડો.દીપક પટેલ અને ડો.હરિકૃષ્ણ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાંથી એક ઉમેદવારને સીસીડીસીના ડિરેકટર બનવાની મહેચ્છા હોય સિનિયર અને અનુભવી ઉમેદવારો સાથે સ્પર્ધા કરવી ન પડે તે માટે બન્ને ડિરેકટરની પોસ્ટ માટે 50 વર્ષની વયમર્યાદા નક્કી કરી ખેલ નાખી દીધો હતો. જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ બન્ને જગ્યાઓને ટિચિંગ પોસ્ટ ગણે કે નોન ટિચિંગ યુજીસીના નિયમો મુજબ 57 વર્ષ સુધીના ઉમેદવાર તો આમાં ભાગ લઇ જ શકે તો પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રિક્રૂટમેન્ટ બોર્ડને યુજીસીના નિયમો લાગુ પડતા નથી કે પછી તેઓ પાસે યુજીસી કરતા વધુ સત્તા છે ? વયમર્યાદાનો મુદ્દો મારા ધ્યાન પર આવ્યો છે અને તે બાબતે વિચારણા શરૂ કરી છે : કુલપતિ સીસીડીસી અને આઇકયુએસીમાં ડિરેક્ટરની ભરતી માટેના નિયમો આર.આર.સેલ દ્વારા નક્કી કરાયા છે. અમે સારા ઉમેદવારો આવે તે માટે પેન ઇન્ડિયામાં જાહેરાત આપી હતી. પરંતુ વયમર્યાદાને કારણે સિનિયર અને અનુભવી ઉમેદવારો અરજી નહીં કરી શકે અને વયમર્યાદાનો મુદ્દો અડચણરૂપ બનશે તેવું મારા ધ્યાન પર આવ્યું છે. આથી આ બાબતે મેં ફરી વિચારણા શરૂ કરી છે. > ડો.ઉત્પલ જોશી, કુલપતિ

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 6:10 am

ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:રોટેશન રેકેટ : બે ડિપાર્ટમેન્ટમાં છટકબારીનો લાભ લઇ હેડશીપ પર જૂના જોગીઓનો કબજો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક સમયથી હેડશીપ બાય રોટેશનમાં થયેલા ગોટાળાએ કુલપતિ ડો.ઉત્પલ જોશીની કાર્યપદ્ધતિ અને નિર્ણયો સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ-2024માં તમામ યુનિવર્સિટીઓ માટે કોમન સ્ટેચ્યુટ બનાવવામાં આ‌વ્યો હતો. હેડશીપ બાય રોટેશનનો નિર્ણય અમલી કરવા આદેશ કર્યો હતો જે મુજબ દરેક યુનિવર્સિટીના તમામ ભવનોમાં અધ્યાપકોને સિનિયોરિટી મુજબ 5-5 વર્ષ માટે હેડશીપ આપવાનો નિર્ણય કરાયો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ કોમન સ્ટેચ્યુટ મુજબ હેડશીપ બાય રોટેશનની અમલવારી તો કરી પરંતુ તેમાં રહેલી છટકબારીનો ઉપયોગ કરી ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ અને અને ડિપાર્ટમેન્ટ ઓફ જર્નાલિઝમમાં હેડ બનાવવામાં છટકબારીનો ઉપયોગ કરાયો છે. યુનિવર્સિટીના ભીતરના વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ હેડશીપ બાય રોટેશનના નિયમ મુજબ કુલપતિ ડો.ઉત્પલ જોશી દ્વારા હિન્દી ભવનમાં ડો.કલાસવા, મનોવિજ્ઞાન ભવનમાં ડો.જોગસણ, એમબીએ ભવનમાં ડો.સંજય ભાયાણી, હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં ડો.નિલામ્બરીબેન દવે અને કમ્પ્યુટર વિભાગમાં ડો.સી.કે.કુંભારાણાને બદલાવી નાખ્યા હતા. અંગ્રેજી ભવનમાં 10 વર્ષ કરતા વધુ સમય સુધી હેડશીપ ભોગવી ચૂકેલા ડો.કમલ મહેતા અને જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટમાં 15 વર્ષ કરતા વધુ સમય હેડ રહી ચૂકેલા ડો.નીતાબેન ઉદાણીને ફરી હેડશીપનો તાજ પહેરાવામાં આવ્યો છે અને તેના માટે એવી છટકબારી શોધવામાં આવી છે કે, ડો.કમલ મહેતા અગાઉ હેડ હતા ત્યારે આ નિયમ ન હતો અને હાલમાં કોમન સ્ટેચ્યુટ લાગુ થાય ત્યારબાદના પાંચ વર્ષ ગણાય તેવું કારણ આગળ ધરાયું છે. તેવી જ રીતે ડો.નિતાબેન ઉદાણીને તત્કાલીન કુલપતિ ડો.ગિરીશ ભીમાણીએ 3 મહિના રિમૂવ કર્યા હોવાથી તેમાં પણ આ રીતની ગણતરી અમલી કરી છે. ત્યારે સવાલ એ થાય છે કે તો ડો.સંજય ભાયાણી, ડો.યોગેશ જોગસણ અને ડો.નિલામ્બરીબેન દવેમાં જૂનો પાંચ વર્ષનો ગાળો ગણીને તેમને શા માટે હેડશીપ પરથી રિમૂવ કરાયા ? અહીંયા પણ ગોઠવણની શંકાઅગાઉ શૈક્ષિક સંઘે જ વિરોધ કર્યો હતો અને શિક્ષણમંત્રીને રજૂઆત કરી અમલવારી અટકાવી હતી હેડશીપ બાય રોટેશનના નિર્ણયનો તત્કાલીન ઇન્ચાર્જ કુલપતિ ડો.ગિરીશ ભીમાણીએ અમલ કરાવવા માટે સિન્ડિકેટમાં ઠરાવ પાસ કરાવ્યો હતો પરંતુ તેની અમલવારી શૈક્ષિક સંઘે શિક્ષણમંત્રીને રજૂઆત કરીને અટકાવી હતી. ત્યારબાદ ઇન્ચાર્જ કુલપતિ તરીકે ડો.કમલ ડોડિયાને ચાર્જ સોંપાતા તેઓએ આ નિર્ણયની અમલવારી માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મુક્યો હતો પરંતુ BOMએ કહ્યું કે, વાઇસ ચાન્સેલરની સત્તા છે તે નક્કી કરે. આથી વીસી ડો.કમલ ડોડિયાએ કમિટી બનાવવાનો નિર્ણય કર્યો હતો પરંતુ તેનો કાર્યકાળ પૂરો થતા ડો.ઉત્પલ જોશીએ આવી પ્રથમ સપ્તાહમાં કમિટી બનાવી નાખી હતી અને કમિટીમાં ડો.મહેશ જીવાણી, ડો.હિતેશ શુક્લા, ડો.નીતાબેન ઉદાણી સહિતના સભ્યોને લીધા હતા. બાદમાં આ સભ્યોએ હેડશીપ બાય રોટેશનના નિર્ણયની અમલવારી કરી હતી પરંતુ તેની છટકબારીનો લાભ કુલપતિ ડો.ઉત્પલ જોશી દ્વારા માત્ર બે પ્રોફેસરોને આપવામાં આવ્યો હતો. ડો.જોગસણ કોર્ટમાં ગયા હતા હવે સરકારમાં રજૂઆતમનોવિજ્ઞાન ભવનના વડા ડો.યોગેશ જોગસણે તેમના ભવનમાં પ્રોબેશનમાં રહેલા પ્રાધ્યાપકને હેડશીપ સોંપતા કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. પરંતુ કોર્ટે પહેલા સરકારમાં રજૂઆત કરવા કહેતા હાલમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગમાં પોતાની ફરિયાદ કરી છે.​​​​​​​ ઓર્ડર પણ વિવાદ સર્જે તેવો : નવા હેડનો કાર્યકાળ જ નક્કી નથી કર્યોસૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પાંચ ભવનોમાં હેડશીપ બાય રોટેશન હેઠળ હેડ બદલાવવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી યુનિવર્સિટીના એકપણ ભવનના હેડનો કાર્યકાળ કયારે પૂરો થશે તેનો નિર્ણય કરાયો નથી. તેમજ જે નવા પાંચ હેડ બનાવાયા છે તેની મુદ્દતનો સમયગાળો પણ ઓર્ડરમાં અપાયો નથી. જેના પરિણામે આગામી દિવસોમાં મોટો વિવાદ થવાનાં એંધાણ મળી રહ્યા છે.​​​​​​​

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 6:08 am

સન્ડે ફોટો સ્ટોરી:44 કરોડના ખર્ચે 29 હેક્ટરમાં બની રહ્યો છે લાયન સફારી પાર્ક, રાજકોટના લોકો ઉનાળુ વેકેશનમાં ઇલેક્ટ્રિક વાહનમાં બેસી સિંહદર્શન કરી શકશે

રાજકોટમાં પણ સાસણ જેવી મોજ આવે તે પ્રકારનું આયોજન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જોરશોરથી ચાલી રહ્યું છે. મહાનગરપાલિકા દ્વારા 29 હેક્ટર જગ્યામાં રૂ.44 કરોડના ખર્ચે લાયન સફારી પાર્કનું નિર્માણની કામગીરી ચાલી રહી છે જે અંતિમ તબક્કામાં છે. સંભવત: આગામી 6 માસમાં એટલે કે ઉનાળાના વેકેશનમાં રંગીલા રાજકોટવાસીઓને સિંહ જોવા સાસણ જવું નહી પડે તેવો મત મનપાના સૂત્રોએ વ્યક્ત કર્યો છે. સાત તબક્કામાં શરૂ કરાયેલી મહાનગરપાલિકાની કામગીરીમાં હાલમાં પાંચ તબક્કાની કામગીરી પૂરી થઇ ગઇ છે. સફારી પાર્કમાં પ્રાણીઓ માટે નાઇટ શેલ્ટર, ઇલેક્ટ્રિક વાહનોમાં બેસીને સિંહદર્શન, ટુ વે એન્ટ્રી-એક્ઝિટ, 5 મીટર પહોળા ઇન્સ્પેકશન રોડ, પાણીની સુવિધા માટે નાના તળાવ, ચેકડેમ અને આયુર્વેદિક વન સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 6:05 am

પ્રેમી દ્વારા જીવલેણ હુમલો:1.67 લાખ પરત ન આપી પ્રેમીએ પ્રેમિકાના હાથ-પગ ભાંગી નાખ્યા

રૈયારોડ પરના મીરાનગરમાં રહેતી અને ખાનગી પેઢીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતી રાથી ભરતભાઇ મદલાણી (ઉ.વ.25)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હિરેન ઉર્ફે કાનો રૈયા ધોળકિયાનું નામ આપ્યું હતું. રાથી મદલાણીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, શુક્રવારે મધરાત્રીના ત્રણેક વાગ્યે પોતે તેના ઘર નજીક સ્કૂટર પર બેઠી હતી ત્યારે તેનો મિત્ર હિરેન ઉર્ફે કાનો રેવા ધોળકિયા સ્કૂટરમાં ધસી આવ્યો હતો, હિરેનને એકાદ મહિના પહેલા રાથી મદલાણીએ રૂ.1.67 લાખ હાથઉછીના આપ્યા હતા જે રકમ હિરેન પરત કરતો ન હોવાથી રાથીએ તેની સામે પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી હતી, જેની જાણ થતાં હિરેન ધસી ગયો હતો અને રાથીને ગાળો ભાંડી તેના પર પાઇપથી હુમલો કરી હાથ-પગ ભાંગી નાખ્યા હતા. રાથી મદલાણીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હિરેન ઉર્ફે કાના ધોળકિયા સાથે પ્રેમસંબંધ હતો અને પ્રેમી હિરેન ધોળકિયાએ તેની પત્ની સાથે છૂટાછેડા લઇ લગ્ન કરશે તેવી રાથીને ખાતરી આપી હતી જેથી રાથીએ એક મહિના પહેલા પ્રેમી હિરેનને રૂ.1.67 લાખ આપ્યા હતા, જે રકમ પરત માગતાં અને તેની સામે પોલીસમાં ફરિયાદ કરતાં તેનો ખાર રાખી પ્રેમીએ હુમલો કર્યો હતો. પોલીસે ગુનો નોંધી હિરેન ઉર્ફે કાનો રેવા ધોળકિયાની શોધખોળ શરૂ કરી હતી.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 6:03 am

SIRની કામગીરીના વિરોધમાં શાળા કર્મચારી સંઘ મેદાને:બીએલઓ પર દરેક અધિકારીઓ દ્વારા કરાતું પ્રેસર અયોગ્ય, નોટિસ પરત ખેંચો

રાજ્યમાં મતદારયાદી સુધારણા(SIR)ની કામગીરી ચાલી રહી છે ત્યારે આ કામગીરી પૂરી કરવા બીએલઓને કરાતાં દબાણ અને અપાતા માનસિક ત્રાસને કારણે અત્યાર સુધીમાં કોડીનાર, સાંબરકાંઠા અને ખેડા જિલ્લાના 3 શિક્ષકોએ જીવ ગુમાવવા પડતા તેના ઘેરા પ્રત્યાઘાત રાજ્યભરમાં પડયા છે અને ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા કર્મચારી સંઘ સંકલન સમિતિએ આ ઘટનાને દુ:ખદ ગણાવી આ મામલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર પાઠવીને પગલાં લેવા રજૂઆત કરી છે. આવેદનમાં એવી રજૂઆત કરી છે કે, સમગ્ર રાજ્યમાં એસઆઇઆરની ઓનલાઇન કામગીરી ઝડપથી કરવા ગ્રાન્ટેડ શાળાઓના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓને સમય જોયા વગર મોડીરાત સુધી બેસાડી રાખવામાં આવે છે. જેમાં શિક્ષિકા બહેનોને પારિવારિક જવાબદારી હોય છે તેમ છતાં તેઓને આ કામગીરી માટે ધમકાવવામાં આવી રહી છે. મતદાર ફોર્મ ઉપર બીએલઓના મોબાઇલ નંબર છાપવામાં આવેલા હોવાથી મોડીરાત્રે પણ કેટલાક નાગરિકો શિક્ષિકાઓને ફોન કરીને અભદ્ર ભાષાના પ્રયોગ કરી પરેશાન કરતા હોવાની ઘટના પણ બનેલ છે. રાજ્યમાં એકસાથે મતદારયાદી સુધારણાની કામગીરી ચાલતી હોય સર્વર ધીમું ચાલી રહ્યું છે. જેમાં વારંવાર બીએલઓની મિટિંગ બોલાવીને તેઓને સમય બગાડવામાં આવે છે અને અન્ય કર્મચારીઓને પણ પૂરતો સહયોગ મળતો નથી. બીએલઓ પર દરેક અધિકારી દ્વારા પ્રેસર અપાય તે યોગ્ય નથી. આ સંજોગોમાં હાલની મતદારયાદી સુધારણાની કામગીરી જે એક જ લોગિંગથી થાય છે તેના બદલે પહેલાની જેમ બીજા બે થી ત્રણ લોગિંગ આપવામાં આવે, કર્મચારીઓને સાંજે મોડે સુધી બેસાડી રાખવામાં ન આવે, ઓનલાઇન કામગીરી અન્ય કર્મચારી કે જેઓ કમ્પ્યુટર અને ટેકનોલોજીનો સારી રીતે ઉપયોગ કરી શકતા હોય તેવા અથવા આઉટ સોર્સિંગ યુવાનો પાસે કરાવવામાં આવે તેવી માગણી ઉઠાવી છે. તેમજ મૃત્યુ પામનાર 3 શિક્ષકોના પરિવારજનોને રૂ.1-1 કરોડની સહાય આપવા માગણી ઉઠાવાઇ છે તેમજ શિક્ષકોને અપાયેલી નોટિસ પાછી ખેચવા માગણી કરાઇ છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 6:03 am

ભાસ્કર ફોલોઅપ:બાકીર સામે બધા જ બેબસ, 180 દિવસ થયા છતાં નેક્ષસ બિલ્ડિંગ સીલ ન કરાયું

રાજકોટના માધાપર ચોકડી પાસે આવેલા નેક્ષસ બિલ્ડિંગને સીલ કરવાનો હુકમ ટીપીઓએ છ માસ પૂર્વે કરી દીધા બાદ હજુ સુધી તેની અમલવારી ન કરાતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. મંજૂરી વગરના આ બિલ્ડિંગમાં જો કોઇ દુર્ઘટના બનશે અને જાનહાની થશે તો તેના જવાબદાર ટીપીઓ અને કમિશનર બનશે. માધાપર ચોકડી પાસે બિલ્ડર બાકીર ગાંધીએ સરકારના જીડીસીઆરના તમામ નીતીનિયમો નેવે મુકીને ગેરકાયદે રીતે નેક્ષસ બિલ્ડિંગ ખડકી દીધા બાદ તેની મંજૂરી માટે હવાતિયા મારી રહ્યો છે. હજુ સુધી તેમણે નવો પ્લાન મુક્યો ન હોવા છતાં મહાનગરપાલિકાના ટીપી શાખાના અમુક વિવાદાસ્પદ અધિકારીઓ તેના પ્લાન પાસ કરવા તખતો તૈયાર કરી રહ્યાનું પણ કહેવાય છે ત્યારે આ મુદ્દે ભૂતકાળમાં ટીપીઓ કિરણ સુમરાએ તા.14-5-2025ના રોજ ક્રિસ્ટલ નેક્ષેસને સીલ કરવા હુકમ કરી દીધો હતો. આ હુકમમાં એવું સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.3માં માધાપર ચોકડી પાસે આવેલા બિલ્ડિંગ ક્રિસ્ટલ નેક્ષેસના માલિક દ્વારા ભોગવટા પરવાનગી અત્રેની કચેરીથી મેળ‌વેલ નથી. સંદર્ભિત ફાઇલ પરના કમિશનરના હુકમ અન્વયે ભોગવટા પરવાનગી મેળ‌વ્યા વિના બિલ્ડિંગના વપરાશી એકમોનો વાણિજ્ય હેતુ અર્થે અનઅધિકૃત રીતે ઉપયોગ શરૂ કરેલ હોય જે વપરાશી એકમોને આપના સ્તરેથી સીલ કરવા કાર્યવાહી કરશો. ટીપીઓ કિરણ સુમરાનો આ બિલ્ડિંગ સીલ કરવા સ્પષ્ટ આદેશ હોવા છતાં સેન્ટ્રલ ઝોનના ટીપીઓ હેતલ સોરઠિયા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી તેમજ આ બાબતે રજૂઆત કરવા આવેલા અરજદારોને સમય નહીં આપી તેમની સાથે તોછડાઇભર્યું વર્તન કરતા ટીપીઓ, કમિશનર અને ગાંધીનગર સુધી ફરિયાદો કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 6:02 am

આપઘાતનો મામલો આવ્યો સામે:પ્રેમિકાના પતિએ ધમકી આપતા પ્રેમીનો ફાંસો ખાઇ આપઘાત

શાપરની વ્રજવાટિકા સોસાયટીમાં રહેતા કમઢિયા ગામના વતની જયદીપ જયંતીભાઇ પરમારે (ઉ.વ.24) પ્રગતિ મોલમાં આવેલા નિલમ ગેસ્ટહાઉસના રૂમમાં ફાંસો ખાઇ લીધો હતો. બનાવ અંગે મૃતકના ભાઇ સિધ્ધરાજ પરમારે શાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે રાજકોટમાં કટારિયા ચોકડી પાસેના રંગોલી હાઇટ્સમાં રહેતા વિસાવદરના જાંબુડાના વતની સાગર મનજી સાગઠિયા અને રવિ મનજી સાગઠિયાના નામ આપ્યા હતા. સિધ્ધરાજ પરમારે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેનો ભાઇ જયદીપ પરમાર ફાઇનાન્સ કંપનીના લોન વિભાગમાં નોકરી કરતો હતો, તેમના કૌટુંબિક ભાઇ રતિભાઇના મોબાઇલમાં સાગર અને રવિ સાગઠિયાનો ફોન આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે, જયદીપ તથા સાગરની પત્નીને શાપરમાં હોટેલ પાસે પકડ્યા છે જેથી સાગર અને રવિએ બીજી વખત સાગરની પત્ની સાથે દેખાતો નહી, દેખાઇશ તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી અને જયદીપને જવા દીધો હતો. જયદીપને ધમકી અપાતા પરમાર પરિવારના સભ્યો જયદીપને શોધવા નીકળ્યા હતા પરંતુ તેનો ક્યાંય પતો લાગ્યો નહોતો, જેથી તેની ઓફિસે જતાં જાણવા મળ્યું હતું કે, જયદીપે નિલમ ગેસ્ટહાઉસના રૂમમાં ફાંસો ખાઇ લીધો હતો. સાગર અને રવિએ ધમકાવતાં જયદીપે અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસે સાગર અને રવિ સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 6:01 am

પરિવારજનો જ કેમ બની રહ્યા છે એકબીજાના હત્યારા?:મરી જવું અથવા મારી નાખવું, ગુજરાતને હચમાચવતી આક્રમક ઘટનાઓની પેટર્ન

છેલ્લા થોડાક સમયથી ગુજરાતમાં ચારેતરફ કૌટુંબિક હિંસાના કિસ્સામાં ભયજનક રીતે વધારો જોવા મળ્યો છે. માતાના હાથે માસૂમ સંતાનોની હત્યા, પતિના હાથે પત્નીની હત્યા, કે પિતાના હાથે પુત્રની હત્યા... આ અરેરાટી ઉપજાવનારા બનાવોએ સમાજમાં ચિંતાની લાગણી ફેલાવી દીધી છે. પાછલા એકાદ મહિનામાં બનેલી આવી જુદી-જુદી ઘટનાઓએ સૌને વિચારતા કરી દીધા છે કે આખરે કોઇ વ્યક્તિ પોતાના જ પરિવારના સભ્યનો જીવ કેવી રીતે લઈ શકે? પ્રેમ પ્રકરણ, વ્યસન, અંધશ્રદ્ધા કે ઘરકંકાસ કારણ ગમે તે હોય પણ આવી હિંસા પાછળનું અન્ય પાસું જાણવું પણ જરૂરી છે. એકાએક કેમ આવી ઘટનાઓ વધવા લાગી? પોતાના જ પરિવારના સભ્યને મોતને ઘાટ ઉતારવામાં કોઇના હાથ કેમ નહીં અચકાતા હોય? આજની સન્ડે બિગ સ્ટોરીમાં જાણો કે આવી ઘટનાઓ વધવા પાછળ મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્સક શું કહે છે. સામાન્ય રીતે ચોરી કે લૂંટના ઇરાદે હત્યા થતી હોય છે, બદલો લેવાના ઇરાદે હત્યા થતી હોય છે પણ આજે જે હત્યાઓની વાત કરવાની છે તે અન્ય હત્યા કરતા જુદી પડે છે. કેમ કે તેમાં પરિવારના જ સભ્ય વિલન બનીને આવેશમાં આવીને હત્યા કરે છે. અજાણ્યા વ્યક્તિ પર આક્રોશ વધારે હોય પણ એકબીજા સાથે જીવતા લોકો જ્યારે એકબીજાનો જીવ લઇ લે તેને જોતાં એવું લાગે કે સંવેદના ઓછી થતી જઇ રહી છે. સૌથી પહેલાં તો આવી હિચકારી ઘટનાઓ વિશે ટૂંકમાં જાણી લો. કિસ્સો 1પત્નીના પ્રેમ સંબંધના કારણે હત્યા-આત્મહત્યા 15 નવેમ્બરે રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં કાકી અને ભત્રીજા વચ્ચેના પ્રેમસંબંધથી કંટાળેલા પતિએ બિલ્ડિંગના પરિસરમાં પત્નીને પોતાની રિવોલ્વરથી ગોળી માર્યા બાદ પોતાના લમણે ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં પતિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે પત્નીને સારવારમાં ખસેડવામાં આવી હતી. 17 નવેમ્બરે ગંભીર રીતે ઇજાગ્રસ્ત પત્નીનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પત્નીના ભત્રીજા સાથેના પ્રેમ સંબંધના કારણે પતિ-પત્ની વચ્ચે દોઢ મહિનાથી ઝઘડો ચાલતો હતો. કિસ્સો 2પતિએ પત્ની પર ફાયરિંગ કરાવ્યું 6 નવેમ્બરે સુરત જિલ્લાના કામરેજ નજીક મહિલા RFO સોનલ સોલંકી પર ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગ બીજા કોઇએ નહીં પણ તેના પતિ અને RTO ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામીએ કરાવ્યું હોવાનો ખુલાસો થયો હતો. અડાજણ વન વિભાગની ઓફિસમાં ફરજ બજાવતાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO)સોનલ સોલંકી 6 નવેમ્બરની વહેલી સવારે કામરેજ નજીક ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યાં હતાં. ઘરેથી અડાજણ જવા નીકળેલાં મહિલા અધિકારીની કાર ઝાડ સાથે ભટકાયેલી હાલતમાં મળી હતી. પોલીસ તપાસમાં સોનલ સોલંકી પર ફાયરિંગ RTOમાં ફરજ બજાવતા તેમના પતિ નિકુંજ ગોસ્વામીના કહેવાથી ઈશ્વરગીરી ગોસ્વામીએ કર્યું હોવાનું ખૂલ્યું હતું. કિસ્સો 3પત્ની અને સંતાનોની હત્યા ભાવનગરમાં રહેતા અને ફોરેસ્ટ વિભાગમાં ACF (આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ) તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાએ પત્ની અને 2 સંતાનોની હત્યા કરી નાખી હતી. 16મી નવેમ્બરે ફોરેસ્ટ કોલોનીમાં તેમના ઘરથી 20 ફૂટ દૂર ખાડામાંથી મૃતદેહો મળી આવ્યા હતા. શૈલેષે આ હત્યા ઘરકંકાસમાં કરી હોવાની પોલીસને આશંકા છે. શૈલેષે 7 નવેમ્બરે ત્રણેય ગુમ થયાની પોલીસને જાણ કરી હતી પરંતુ 10 દિવસ બાદ ભાવનગરમાં આવેલા પોતાના ક્વાર્ટરની બાજુમાં જ વિશાળ ખાડામાંથી તેમના મૃતદેહ મળ્યા હતા. કિસ્સો 4ઘર કંકાસમાં પિતાની હત્યા રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં આવેલા હુડકો ક્વાર્ટરમાં રહેતા નરેશભાઇને તેની પત્ની અને પુત્રએ સાથે મળી છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. નરેશભાઇ પોતાના જ ઘરના રૂમમાં લોહીલુહાણ હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. તેમને છાતીના ભાગે તથા ડાબા હાથમાં ઇજા થઇ હતી. નરેશભાઇ અને તેના પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો. જેથી ઉશ્કેરાઇને તેના પુત્ર હર્ષે પિતાને છરી મારી દીધી હતી. નરેશભાઇને દારૂ પીવાની ટેવ હોવાથી ઘરમાં અવાર નવાર ઝઘડા થતા હતા તેવું સામે આવ્યું હતું. કિસ્સો 52 માસૂમ દીકરીની હત્યા બાદ માતાનો આપઘાત રાજકોટના નવાગામમાં આવેલી શક્તિ સોસાયટીમાં શેરી નંબર 6માં રહેતાં 32 વર્ષીય અસ્મિતાબેન જયેશભાઈ સોલંકીએ પોતાની 7 વર્ષની દીકરી અને 5 વર્ષની દીકરી ગળે ટૂંપો આપી હત્યા નીપજાવી હતી. આ કૃત્ય કર્યા બાદ અસ્મિતાએ પણ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ત્રણેયના મૃતદેહો મળ્યા હતા. કિસ્સો 62 દીકરીઓ સાથે પિતાનો આપઘાત ગાંધીનગર જિલ્લાના બોરીસણા ગામના અને 3 પેટ્રોલ પંપના માલિક એવા ધીરજ ભલાભાઇ રબારીએ 2 વ્હાલસોયી દીકરીઓ સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. ધીરજ રબારી કલોલની બલરામ પાર્ક સોસાયટીમાં રહેતા હતા. આધારકાર્ડ કઢાવવા જઇએ છીએ તેવું કહીને ઘરેથી કારમાં નીકળ્યા હતા અને ઘરથી 5.9 કિલોમીટર દૂર આવેલી પિયજ ગામની નર્મદા કેનાલે પહોંચી મોતની છલાંગ લગાવી દીધી. કિસ્સો 7નશાની લત અને દેવાના કારણે પુત્રની હત્યા રાજોટ જિલ્લાના આટકોટ નજીક જસદણ ચોકડી પાસે પિતાએ પુત્રની ખપાળી મારી હત્યા કરી હતી. નશાની લત અને દેવાના કારણે થયેલા ઝઘડામાં ઉશ્કેરાયેલા પિતાએ આ પગલું ભર્યું હતું. જસદણ ચોકડી પાસે પાણીના ટાંકા નજીક રહેતા તુષાર ઘનશ્યામભાઇ સેલીયા (ઉ.વ.28) અને તેના પિતા ઘનશ્યામભાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી. ઝઘડો ઉગ્ર બનતા પિતા ઘનશ્યામભાઈએ ઘરમાં પડેલી ખપાળીથી પુત્ર તુષારના માથામાં ઘા માર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલો તુષાર લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. જેના પછી તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. કિસ્સો 8માતાએ 2 સંતાનોને મોતને ઘાટ ઉતાર્યા નવસારીના બીલીમોરામાં એક મહિલાને સપનામાં આદેશ થતાં તેણે મધરાતે પોતાના બે બાળકની ગળું દબાવીને હત્યા કરી દીધી હતી બાદમાં તેના સસરા પર ગ્લાસ વડે હુમલો કરીને બચકું ભરી, કાન તોડી નાખ્યો હતો. દેવસર ગામે મહારાજા એપાર્ટમેન્ટમાં મૂળ યુપીના શર્મા પરિવારમાં રાત્રે 1:30 વાગ્યે એક મહિલાને સપનામાં અવાજ સંભળાયા કે 'તારાં બાળકોને મારી નાખ'. જેથી તેણે જાગીને બાજુમાં સૂતેલાં તેનાં બે બાળકનું ગળું દબાવી દીધું હતું. બાદમાં સસરાને મારવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે તેઓ ભાગી છૂટ્યા હતા અને બૂમાબૂમ કરતાં આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા. આ કેટલીક એવી ઘટનાઓ છે જે ખરેખર હચમચાવનારી છે. દિવ્ય ભાસ્કરે મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્સક પાસેથી આવી ઘટનાઓ પાછળના કારણ જાણ્યાં હતા. પ્રોફેસર યોગેશ જોગસણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ છે. તેમના મતે આ ઘટનાઓ પાછળ અનેક માનસિક પરિબળો કામ કરી રહ્યા છે. તેમણે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, હમણાં કેટલાક સમયથી રાજકોટ અને ગુજરાતમાં પરિવારના જ લોકો એકબીજાને નુકસાન પહોંચાડતા હોય તેવી ઘટના બની રહી છે. હમણાંથી આક્રમક ઘટનાઓની એક પેટર્ન જોવા મળી રહી છે. જેમાં પરિવારના સભ્યોને મારી નાખવા, પોતે પણ આત્મહત્યા કરી લેવી. ભાવનગરમાં આવો કિસ્સો જોવા મળ્યો, રાજકોટમાં પણ આવું જોવા મળ્યું. આવી ઘટનાઓ પાછળ માસ હિસ્ટીરિયા પણ જવાબદાર છે. કોઇ એક નકારાત્મક ઘટના બની હોય અને તેનો ઊંડો આઘાત લાગે તો તેના કારણે વ્યક્તિમાં હિસ્ટીરિયા ઊભો થાય છે. જે નકારાત્મક કાર્ય કરે છે. આના કારણે ઘણીવાર આવા બનાવો બને છે. આવી ઘટનાઓ પાછળના કારણ જણાવતા તેઓ કહે છે કે, માણસના મનમાં જુદા-જુદા પ્રકારના વિચારો ચાલતા હોય છે. જેનું તાત્કાલીક રિએક્શન આવે અને આ પ્રકારનું આક્રમક પગલું ભરાઇ જતું હોય છે. માણસમાં 2 પ્રકારની વૃત્તિ હોય છે. એક વૃત્તિ સ્વપીડન વૃત્તિ છે જ્યારે બીજી વૃત્તિ પરપીડન વૃત્તિ છે. 'કેટલાક લોકો બીજાની આક્રમકતા અને અત્યાચાર સહન કરી લેતા હોય છે. જ્યારે કેટલાક લોકો બીજા પર અત્યાચાર કરતા હોય છે. જે સહન કરે છે તેને સ્વપીડનવાળા લોકો કહેવાય. જે બીજાને નુકસાન પહોંચાડે છે તેને પરપીડન વૃત્તિના લોકો કહેવાય છે. આવી વૃત્તિ આપણા સમાજના દરેક લોકોમાં વધતા ઓછા પ્રમાણમાં પડેલી હોય છે.' અધીરાઇ અને ઉછેર શૈલી જવાબદારતેમણે જણાવ્યું કે, આવી ઘટનાઓ બનવા પાછળનું સીધું કારણ એ છે કે આજના સમયમાં લોકોને તાત્કાલીક દરેક બાબતનો નિકાલ, દરેક સમસ્યાનું સમાધાન જોઇએ છે. આ માટેની જે ઘેલછા તેના કારણે જ કોઇ વ્યક્તિ વધારે પડતું રિએક્શન આપી દે છે. ફાસ્ટ કોમ્યુનિકેશનના કારણે ધીરજ ખૂટી ગઇ'નાની-નાની વાતમાં જે લોકો ગુસ્સે થઇ જાય છે તેની પાછળ અધીરાઇ અને ઉછેર શૈલી જવાબદાર છે. ફાસ્ટ કોમ્યુનિકેશનના કારણે આપણી અંદરની ધીરજ ખૂટી ગઇ છે સાથે જ બધી વસ્તુઓ ઇન્સ્ટન્ટ પ્રાપ્ત થવા લાગી છે. ફાસ્ટ કોમ્યુનિકેશનના કારણે માણસે માનસિક અને સામાજિક રીતે કેમ જીવવું જોઇએ તેની ટ્રેનિંગ મનોવૈજ્ઞાનિકો અને સમાજશાસ્ત્રીઓએ સમાજને આપવાની જરૂરિયાત ઊભી થઇ હોય તેમ મને લાગે છે. આ અધીરાઇના કારણે લોકો આક્રમક બની જતા હોય છે.' 'માણસ જ્યારે હિંસક પગલાં ભરે છે ત્યારે તેના મનમાં બે જ વસ્તુઓ ચાલતી હોય છે, મરી જવું અથવા મારી નાખવું. આની પાછળનું કારણ એ છે કે તે વ્યક્તિની લાગણી એટલી બધી ઘવાયેલી હોય છે કે તે ઘવાયેલી લાગણી સાથે તે પોતાનું જીવન જીવી શકે તેમ નથી તેવો ભાવ તેના મનમાં હોય છે.' બદલાયેલી જીવન શૈલી અને સોશિયલ મીડિયા જવાબદારપ્રો. જોગસણે કહ્યું કે, ઘણીવાર એવું જોવા મળે છે કે આવી ઘટનાઓ પાછળ મુખ્ય કારણ વ્યક્તિની લાઇફ સ્ટાઇલ હોય છે. આપણા વડવાઓએ સિઝન પ્રમાણે કયો ખોરાક લેવો અને કયો પહેરવેશ પહેરવો તેની આખી શૈલી વિકસાવેલી હતી પણ દિવસે ને દિવસે આપણે આધુનિક બનતા ગયા. જેના કારણે આપણી આબોહવા, આપણા સંસ્કાર, આપણું પર્યાવરણ, આપણા મૂળભૂત ખોરાકને સાઇડ લાઇન કરીને આપણે વિદેશી કલ્ચરને સ્વીકાર્યું, વિદેશી ખોરાક અપનાવ્યો. આના કારણે જીવન શૈલીમાં પરિવર્તન આવ્યું. 'અત્યારે મોટાભાગના દીકરા દીકરીઓને હોટ ડોગ, બર્ગર, પિઝા ખાવા જોઇએ છે. આપણો ભારતીય ખોરાક તેમને કચરો લાગે છે. આ ફૂડના કારણે, તેમાં રહેલા કેમિકલના કારણે આપણી જીવન શૈલીમાં પરિવર્તન આવે છે, આક્રમકતા અને અધીરાઇ આવે છે. આપણે એન્ટિ સોશિયલ બની જઇએ છીએ. આપણે લોકોથી વિમુખ બની જઇએ છીએ. આ સમાજ વિરોધી વલણ પાછળ આપણી જીવન શૈલી કારણભૂત છે.' 'બીજી મોટામાં મોટી કોઇ બાબત હોય તો તે છે આધુનિક સોશિયલ મીડિયા. આપણી જીવન શૈલી બદલાવા પાછળનું એક કારણ સોશિયલ મીડિયા પણ છે. અમેરિકામાં બેઠેલી કોઇ વ્યક્તિ કેવા કપડાં પહેરે છે, કેવું ફૂડ ખાય છે તે આપણે એક જ સેકન્ડમાં વીડિયો કોલ દ્વારા જોઇ શકીએ છીએ. જેના પછી માણસમાં દેખાદેખી આવે છે. આવી દેખાદેખીના કારણે લોકોમાં અધીરાઇ આવે છે. આ અધીરાઇ વ્યક્તિના વાણી, વર્તન અને માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. માનસિક રીતે હતાશ વ્યક્તિ આવા પ્રકારની નકારાત્મક બાબતો તરફ આગળ વધે છે.' રીલ જોવાથી મનમાં મૂંઝવણતેઓ કહે છે કે, આપણે બધા રીલ જોતાં હોઇએ છીએ. રીલની મનોસ્થિતિ સમજવા જેવી છે. હકારાત્મક રીલ જોવાથી મગજમાં ચોક્કસ પ્રકારના હકારાત્મક સ્ત્રાવો ઝરવાની શરૂઆત થઇ હોય ત્યાં જ બીજી સેડ રીલ જોઇએ એના પછી ત્રીજી બીભત્સ રીલ જોઇએ. આ બધાના આદેશો આપણા મનમાં એક પછી એક જાય છે એટલે આપણું મન પણ મુંઝાઇ જાય છે. જેથી આપણા સ્ત્રાવ જે યોગ્ય પ્રમાણમાં ઝરવા જોઇએ તે ઝરી શકતા નથી. હેપ્પીનેસ ડોઝમાં પણ મુશ્કેલી આવે છે. ડોપામાઇનની એક્ટિવિટી કાં તો ખૂબ વધી જાય છે અથવા તો ખૂબ નિષ્ક્રિય થઇ જાય છે. જ્યારે આ એક્ટિવિટી નિષ્ક્રિય થઇ જાય છે ત્યારે માણસ ડિપ્રેશનમાં સરી પડે છે. જ્યારે આવી એક્ટિવિટી ખૂબ વધી જાય છે ત્યારે માણસ મેનિયાક બની જતો હોય છે. આર્થિક સંકડામણ હોય ત્યાં આવા બનાવો વધુ'જ્યાં આર્થિક સંકડામણ સૌથી વધુ છે ત્યાં આવા બનાવો વધુ બને છે તેવું કહી શકાય. ઉચ્ચ વર્ગના લોકો માનસિક સ્વાસ્થ્ય જાળવી શક્યા નથી તેના કારણે પણ આવી ઘટના ઘટે છે.' 'આવી નકારાત્મક ઘટનાઓને રોકવા માટે જે વ્યક્તિ લાગણીથી ઘવાયેલો હોય અથવા હતાશ છે અથવા તો તેનામાં કોઇ ચોક્કસ પ્રકારના લક્ષણો દેખાય છે જેને આપણે ઓળખી લઇએ તો આપણે તેને સમજાવી શકીએ, બચાવી શકીએ.' ડિપ્રેશનના કેવા લક્ષણો હોય તેના વિશે તેમણે કહ્યું કે, ડિપ્રેશનમાં રહેલી વ્યક્તિ રોજિંદી ક્રિયાઓ જે રીતે સમયસર કરે છે તે કરતી નથી. કોમ્યુનિકેશન ઓછું થઇ જાય, લોકો સાથે ઓછી વાતચીત કરે, વિચારો કોઇ સાથે શેર ન કરે. વધુ પડતો એકલો રહે તો સમજવું કે તે વ્યક્તિ માનસિક રીતે હતાશા અનુભવે છે, એકલતા અનુભવે છે. આ એકલતા આગળ જતાં તેને નકારાત્મકતા તરફ ધકેલી શકે છે. આવી વ્યક્તિઓને રોકવા જોઇએ. તેને માર્ગદર્શન આપવું જોઇએ જેથી કરીને આવા પ્રકારની ઘટનાઓ રોકી શકાશે. ડૉક્ટર પરેશ શાહ છેલ્લાં 37 વર્ષોથી રાજકોટમાં સાઇકિયાટ્રિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે. ડૉ. શાહે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, અત્યારે એવું લાગી રહ્યું છે કે સમાજમાં અશાંતિ ખૂબ વધી રહી છે. લોકોની સહનશક્તિમાં ભારે ઘટાડો આવ્યો છે, ઉત્પાત વધ્યો છે.જેની અસર આવી ઘટનામાં થઇ રહી છે. આવી ઘટનાઓ પાછળ ચિંતા, ડિપ્રેશન જેવા કારણો જવાબદાર છે. મોબાઇલનો વધુ પડતો ઉપયોગ'વ્યક્તિમાં ગુસ્સો વધે, આવેગ વધે, ચિંતા રહે, ડિપ્રેશન આવે વગેરે જોવા મળે છે. જેના કારણે તે ન કરવાનું કરી બેસે છે. આમાં મોબાઇલનો ઉપયોગ પણ ઘણા અંશે જવાબદાર છે. આજકાલ મોબાઇલનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) કહે છે કે એક કલાકથી વધારે મોબાઇલનો ઉપયોગ ન કરવો જોઇએ કેમ કે મોબાઇલનો વધુ પડતો ઉપયોગ આપણી શારીરિક અને માનસિક પરિસ્થિતિને અસર કરે છે. આ પણ અગત્યનું ફેક્ટર હોય તેવું મને લાગી રહ્યું છે.' અનિયમિત ઊંઘ અને લાઇફ સ્ટાઇલ કારણભૂત'અનિયમિત ઊંઘ પણ એક મહત્વનું કારણ છે. આજકાલના યુવાનોમાં ઊંઘનું પ્રમાણ ખૂબ ઘટી રહ્યું છે. અમે યુવાનોને મેડિટેશન, પ્રાર્થનાની સલાહ આપીએ છીએ. કસરતના કારણે એગ્રેસન દૂર થાય છે એટલે અમે કસરતની પણ સલાહ આપીએ છીએ. અમે આવા દર્દીઓને એવી દવા આપીએ છીએ જેનાથી તેને માપસર ઊંઘ આવે અને તેની ટેવ પણ ન પડે.' તેમણે કહ્યું કે, આજના સમાજમાં વ્યસન પણ ખૂબ વધી રહ્યું છે. વ્યસનના કારણે પણ ગુસ્સાનું પ્રમાણ વધે છે અને ક્યારેય વિચાર્યા ન હોય તેવા બનાવો બને છે. ગુસ્સાનું કારણ જાણીને તે પ્રમાણે તેનું નિદાન કરવું જોઇએ. મોટા ભાગે આવા દર્દીઓમાં ચિંતા, ડિપ્રેશન, મેનિયા જોવા મળતા હોય છે. કોઇ દર્દીને વારંવાર શંકા ઉદભવતી હોય છે. જેના કારણે તેનું દામ્પત્ય જીવન પણ વધારે ડિસ્ટર્બ થતું હોય છે. આવા દર્દીનું મન શાંત થાય તેવી દવાઓ તેને આપવામાં આવે છે. ગુસ્સો કરવાથી જ કામ થાય છે તેવું જરૂરી નથી'ગુસ્સો એક પ્રકારની લાગણી છે. ગુસ્સો ખોટો છે તેવું હું કહું તો યોગ્ય છે. જે વ્યક્તિ ગુસ્સો કરે છે તેને જ સૌથી પહેલી ગુસ્સાની અસર થાય છે. ગુસ્સાના કારણે બ્લડ પ્રેશર વધી જાય, મગજ તંગ થાય, શરીરના હોર્મોન્સનો સ્ત્રાવ વધી જાય. આમ ગુસ્સો બધી રીતે માણસને નુકસાન જ કરે છે.' 'ઓફિસમાં કે કોર્પોરેટ સેક્ટરમાં જરૂર પડે તો કડક પગલાં લેવા જોઇએ, ફાઇનાન્શિયલ પેનલ્ટી આપીને પણ મામલો સેટ કરી શકાય. ઘણા લોકો એવું માને છે કે ગુસ્સો કરીએ તો જ માણસો કામ કરે છે પણ એવું બિલકુલ નથી.' મેડિટેશન, વોકિંગ અને શ્વાસ પર કન્ટ્રોલ કરવાની સલાહતેમણે ઉમેર્યું કે, ઓફિસમાં સ્ટ્રેસ રહેતો હોય તો તેને કેવી રીતે ઓછો કરાય તે જોવું જોઇએ. મેડિટેશન, વોકિંગ, જગ્યા બદલી નાખવી, શ્વાસ પર કન્ટ્રોલ કરવો આ બધાને ગુસ્સાને શાંત કરી શકાય છે. ગુસ્સો વધી રહ્યો છે તેવું ઓબ્ઝર્વેશન કરવાથી પણ ગુસ્સાનું પ્રમાણ ઘટાડી શકાય છે. વિપશ્યના કરવાથી પણ ગુસ્સામાં ઘટાડો થાય છે. 'લાગણીઓ કોઇની સાથે શેર કરવી જોઇએ. કોઇ લાગણી દબાવીને બેસી રહેવું ન જોઇએ. રડવું આવે તો રડી લેવું. પુરૂષ ન રડે તેવું નથી. રડવાથી બંધાયેલી લાગણી છુટી થાય છે એટલે રડવું આવે ત્યારે રડી લેવું જોઇએ. કોઇપણ વ્યક્તિ માટે એ જરૂરી છે કે પોતાની લાગણીઓ આ રીતે તે બહાર લઇ આવે.' 'જેને વધુ પડતો ગુસ્સો આવતો હોય તેના માટે એંગર મેનેજમેન્ટ હોય છે. ગુસ્સો કયા કારણોસર આવે છે તેનું કારણ જાણવું પડે છે. ગુસ્સો આવવા પાછળનવા ઘણા કારણો હોય છે જેવા કે આર્થિક સમસ્યા, ફેમિલી પ્રોબ્લેમ, નોકરીના પ્રોબ્લેમ. આ બધા કારણો દર્દીને અસર કરે છે અને તેના કારણે અલગ અલગ બીમારીઓ પણ થાય છે. ગુસ્સાનું કારણ જાણ્યા પછી તેને કેવી રીતે મદદરૂપ થવું તે જોઇએ છીએ.' ગુજરાતને હચમચાવી નાખતી આ ઘટનાઓ સૂચવે છે કે સમાજે હવે શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્યને પણ એટલું જ મહત્વ આપવું પડશે. નહીંતર લોહીના સંબંધોની હત્યા વકરતી જ રહેશે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 6:00 am

જૂનાગઢમાં 'ટેરેસ ગાર્ડનિંગ'નો ટ્રેન્ડ વધ્યો:રાસાયણિક ખોરાકથી ત્રસ્ત લોકોએ છત પર ઓર્ગેનિક ગાર્ડનિંગ શરૂ કર્યું, પરિવારને મળી રહ્યાં છે તાજા શાકભાજી અને ફળો

ભારતભરમાં દિવસેને દિવસે રાસાયણિક ખાતર અને દવાના બેફામ છંટકાવથી તૈયાર થતા શાકભાજી અને ફળોના કારણે લોકોમાં અવ-નવી બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. કેન્સર જેવા ભયંકર રોગોથી લઈને પેટ અને ચામડીના અનેક રોગો થવાની શક્યતાઓ વધી રહી છે. જેના કારણે અનેક પરિવારો આર્થિક અને માનસિક આકુળતા અનુભવી રહ્યા છે. રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતા ખોરાકમાં હવે આમૂલ બદલાવ કરવો ખૂબ જરૂરી બન્યો છે, ત્યારે જૂનાગઢ સહિતના શહેરી વિસ્તારોમાં લોકો બજારમાં મળતા રાસાયણિક ઉત્પાદનો કરતાં પોતાના જ ઘરમાં ઓર્ગેનિક (જૈવિક) પદ્ધતિથી ગાર્ડનમાં તૈયાર કરેલા શાકભાજી અને ફળો ખાવાનું વધુ પસંદ કરી રહ્યા છે. જૂનાગઢના નીતાબેન શાહનું ઓર્ગેનિક ટેરેસ ગાર્ડનઆ બદલાવના ભાગરૂપે, જૂનાગઢના પ્રાધ્યાપક નીતાબેન શાહે પોતાના ઘરની છત પર જ સુંદર ઓર્ગેનિક ગાર્ડનિંગની શરૂઆત કરી છે. તેમણે ઘરની છત પર લીંબુ, બોર જેવા ફળો ઉપરાંત રીંગણ, ગુવાર, કારેલા, ટમેટા, મરચા અને અન્ય શાકભાજી વાવીને ગુણવત્તાયુક્ત અને તાજા શાકભાજી મેળવી રહ્યા છે. ઓછા સભ્યોવાળા પરિવારો માટે ટેરેસ ગાર્ડનિંગ સહેલુંપોતાના આ અભિયાન વિશે વાત કરતા પ્રાધ્યાપક નીતાબેન શાહે જણાવ્યું હતું કે, હાલના વાતાવરણમાં જે પ્રમાણે પ્રદૂષણ જોવા મળે છે અને લોકો ઓર્ગેનિક ફાર્મિંગની વાતો કરે છે, પરંતુ બજારમાં મળતું શાકભાજી કેટલું ઓર્ગેનિક છે તે પ્રશ્ન છે. ખેડૂતોની પણ એક મજબૂરી છે કે કમાણીના ઉદ્દેશ્યથી રાસાયણિક દવા અને ખાતર સિવાય કોઈ મોટો પાક પોતાના ખેતરમાં લઈ શકતા નથી. પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રાખવા અને રોજિંદી જિંદગીમાં કોઈ રોગ શરીરમાં પ્રવેશે નહીં તે માટે લોકોએ જ પોતાના ઘરની છત પર ઓર્ગેનિક શાકભાજી અને ફ્રૂટ વાવવું જરૂરી છે. જો કોઈ સિઝનમાં જંતુઓ આવતા હોય તો એક જ વખત રાસાયણિક દવાનો છંટકાવ કરવાથી આખું વર્ષ પાક સુરક્ષિત રહે છે. જ્યારે મોટા ખેતરોમાં પાક બચાવવા ખેડૂતો નાછૂટકે વધુ રસાયણનો ઉપયોગ કરે છે, તે સમસ્યા અહીં રહેતી નથી. 'ફળો વાવ્યાને દોઢ વર્ષ થયું છતાં હજુ સારા ફળો આવે છે'નીતાબેને ફળોના વાવેતર અંગે કહ્યું કે, ઘરમાં એકથી બે સભ્યો હોય ત્યારે જરૂરિયાત મુજબના ફ્રૂટ છત પર વાવેલા ઝાડમાંથી લઈ શકાય છે. બહારથી ખરીદેલું ફ્રૂટ ઘણીવાર જરૂરિયાત કરતા વધારે ખરીદવું પડે છે અને એક-બે નંગ ખરાબ થઈ જાય છે. મેં અહીં બોર તેમજ અન્ય ફળો વાવ્યાને એકથી દોઢ વર્ષ થયું છે છતાં તેમાં સારા અને ગુણવત્તાવાળા ફળ આવે છે. નીતાબેનના મતે, ઓર્ગેનિક ગાર્ડનિંગથી બહેનો આસાનીથી આ પ્રવૃત્તિ કરી શકે છે, બાળકોને નાનપણથી જ ફાયદા સમજાવી શકાય છે, અને વૈજ્ઞાનિકોએ સાબિત કરેલી વાત મુજબ, આ પદ્ધતિથી માનસિક તણાવ પણ ઓછો થાય છે અને ઘરમાં થતા નાના-મોટા ઝઘડાઓને ઓર્ગેનિક ગાર્ડનિંગના કામમાં સમય વિતાવવાથી ભૂલી શકાય છે. રાસાયણિક દવાઓના જોખમ પર કૃષિ નિષ્ણાતનો મતજૂનાગઢની આસપાસ ખેડૂતો જે રાસાયણિક દવાઓનો ઉપયોગ કરે છે, તેના ગંભીર પરિણામો પર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કીટક શાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક અને વડા ડો. ધર્મરાજસિંહ જેઠવાએ જણાવ્યું કે ખેડૂતોએ રાસાયણિક દવા શાકભાજીમાં વાપરવી હાનિકારક છે. ઘણી વખત ખેડૂતો આડેધડ રાસાયણિક દવાઓનો ઉપયોગ કરે તેના લીધે નુકસાન થાય છે. ખેડૂતો દવા ખરીદે છે તેમાં લીલું, લાલ કે પીળું લેબલ દર્શાવેલું હોય છે, પરંતુ કઈ દવા શેના માટે છે તેની જાણકારી વગર સીધા એગ્રો વાળા પાસેથી દવા લે છે. શહેરીજનો માટે ટેરેસ ગાર્ડનિંગ એક ઉત્તમ વિકલ્પડો. જેઠવાએ શહેરોમાં વસતા લોકોને ટેરેસ ગાર્ડનિંગ કરવા પર ભાર મૂકતા જણાવ્યું કે, શહેરોમાં વસતા લોકોને ખાસ પોતાના ઘરની છત પર ટેરેસ ગાર્ડન બનાવવા જોઈએ. આમાં જૈવિક દવાઓનો ઉપયોગ કરીને શાકભાજી વાવવી ખૂબ યોગ્ય પદ્ધતિ છે, ખાસ કરીને વેલા વાળી શાકભાજી આસાનીથી મેળવી શકાય છે. નાના પરિવારના સભ્યોમાં આ પ્રકારનું ઓર્ગેનિક ગાર્ડનિંગ કરવાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને ગુણવત્તા યુક્ત શાકભાજી મળી રહે છે. જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ખાતર-બિયારણ સસ્તું અને ઝડપી મળે છે, જેના કારણે અહીંના લોકો માટે ઓર્ગેનિક ગાર્ડનિંગ કરવું વધુ સરળ બને છે. નીતાબેન શાહ જેવા લોકોનો આ બદલાવ બજારમાં મળતા હાનિકારક ખોરાક સામે એક મોટો અને સકારાત્મક પડકાર ઊભો કરી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 6:00 am

આવતીકાલથી નવી સિરીઝ ‘સ્વપ્નદૃષ્ટા’:આધુનિક ગુજરાતને ઘડનારા શિલ્પીઓની વિઝનથી વિજય સુધીની રોમાંચક સંઘર્ષગાથા

ગુજરાતની ધરતી હંમેશાં આભને આંબતાં સપના જોનારાં અને તેને સાકાર કરનારાઓની જન્મભૂમિ રહી છે. જે વ્યક્તિઓએ માત્ર પોતાનું જ નહીં, પરંતુ આખા પ્રદેશ અને દેશનું ભવિષ્ય બદલી નાખ્યું. અશક્ય ને શક્ય કરી બતાવનારા આવા જ કેટલાક અસાધારણ વ્યક્તિત્વોની પ્રેરક ગાથાઓની સિરીઝ શરૂ થઈ છે, જેનું નામ છે, ‘સ્વપ્નદૃષ્ટા’. દિવ્ય ભાસ્કર એપ પર સોમવારથી શરૂ થઈ રહેલી આ સિરીઝમાં આપણે જેમની મહેનતનાં ફળ ખાઇએ છીએ તેવા મહાનુભાવોની સંઘર્ષગાથાઓ રજૂ થશે. જેમના નેતૃત્વ હેઠળ ‘મહાગુજરાત આંદોલન’ ચાલ્યું અને આપણને આપણું સ્વતંત્ર ગુજરાત રાજ્ય મળ્યું તેવા ઇન્દુલાલ યાજ્ઞિક હોય, લોખંડી કરોજરજ્જુ ધરાવતા નખશિખ પ્રામાણિક અને અડગ સિદ્ધાંતોના પ્રણેતા મોરારજી દેસાઈ હોય, ભારતને સફળતાપૂર્વક અંતરિક્ષમાં મૂકી આપનારા ઑરિજિનલ રોકેટ બોય ડૉ. વિક્રમ સારાભાઈ હોય, દેશમાં શ્વેતક્રાંતિ લાવનારા સવાયા ગુજરાતી એવા ડૉ. વર્ગીસ કુરિયન હોય કે પછી સંખ્યાબંધ સ્વપ્નદૃષ્ટાઓના સહિયારા સંઘર્ષથી સાકાર થયેલી મહત્ત્વાકાંક્ષી સરદાર સરોવર નર્મદા યોજના હોય, આ સિરીઝ આપણા ગૌરવશાળી ભૂતકાળ તરફ ફરીથી એક નજર નાખવાની અને તેમાંથી પ્રેરણા લઇને આપણું ભવિષ્ય ઘડવાની ક્વાયત બની રહેશે. ‘સ્વપ્નદૃષ્ટા’ સિરીઝ માત્ર ઇતિહાસ નથી, આ તો આત્મવિશ્વાસ, સંઘર્ષ અને સફળતાની પ્રેરણાદાયી દાસ્તાન છે. આવો, આપણા મહાન ‘સ્વપ્નદૃષ્ટા’ઓને ઓળખીએ અને તેમની વિરાસતને સાચવીએ. વાંચવા-જોવાનું ચૂકશો નહીં સોમવારથી દરરોજ સવારે 6 વાગ્યાથી આખો દિવસ દિવ્ય ભાસ્કર એપ પર, ‘સ્વપ્નદૃષ્ટા’ સિરીઝ...

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 6:00 am

સન્ડે બિગ સ્ટોરી:રાજકોટને સ્વચ્છતામાં નં.1 બનાવવા 18 મુદ્દાનો એક્શન પ્લાન

ભારત સરકારના આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા કરાયેલા સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25માં રાજકોટ શહેરનો સમગ્ર ગુજરાતમાં 3જો અને સમગ્ર દેશના 4589 શહેરમાંથી 19મો રેન્ક પ્રાપ્ત થયો છે ત્યારે હવે રાજકોટને નંબર વન બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ દિવસ-રાત કવાયત આદરી છે અને તેના ભાગરૂપે 18 મુદ્દાનો એક્શન પ્લાન અમલી કર્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સૂત્રોએ જણાવ્યા અનુસાર ગત સ્વચ્છતા સર્વેક્ષણમાં જે વિભાગમાં રાજકોટ શહેરને ઓછા માર્કસ મળ્યા હતા તેમાં વધુ મહેનત શરૂ કરવામાં આવી છે અને તેના ભાગરૂપે સૌથી નબળો દેખાવ કરનાર નાકરાવાડી લેગેસી વેસ્ટ કમ્પોઝનો કોન્ટ્રાક્ટ આપવા ઉપરાંત ગાર્બેજ કલેક્શન માટેની ટીપરવાનની સંખ્યા 385 હતી જે વધારીને 580 કરી દેવામાં આવી છે. અગાઉ શહેરમાંથી કચરાનું કલેક્શન 700 ટન દૈનિક હતું જે હવે વધીને 850 ટન થઇ ગયું છે. આમ કચરા કલેક્શનમાં હવે 100 ટકા માર્કસ મળે તેવી કામગીરી થઇ ગઇ છે. આ લેગેસી વેસ્ટ રિમૂવ કરવા માટે પણ રૂ.36.98 કરોડમાં કોન્ટ્રાક્ટ આપી દેવાયો છે. આ ઉપરાંત સેગ્રેગેશનના મુદ્દા હેઠળ ઘરે-ઘરેથી ભીનો અને સૂકો કચરો અલગ-અલગ લેવા માટે કેમ્પેઇન ચાલી રહ્યું છે. સ્પેશિયલ ટ્રીપલ RRR રથ અને 6 RRR કલેક્શન સેન્ટર શરૂ કરાયા છે. શહેરમાં જેટલા મંદિરો છે ત્યાં સ્પેશિયલ ટીપરવાન જાય છે અને મંદિરમાંથી ફલાવર વેસ્ટ કલેક્ટ કરી તેમાંથી અગરબત્તી અને અન્ય ચીજો બનાવવા સખીમંડળની 20 બહેનોને તાલીમ અપાઇ છે. સ્વચ્છ સન-ડે કન્સેપ્ટ હેઠળ ક્લીનઅપ ડ્રાઇવ ચલાવતા નાના-નાના એનજીઓને રાજકોટ મહાનગરપાલિકા ટીપરવાન, સફાઇ કામદાર, ગ્લોઝ સહિતની મદદ પૂરી પાડી રહ્યું છે. સ્વચ્છતા સંવાદ સિરિઝ પણ શરૂ કરાઇ છે. આ ઉપરાંત માય થેલી કેમ્પેઇન પણ ચલાવવામાં આવ્યું હતું. આમ હવે રાજકોટ મહાનગરપાલિકાને 19મા ક્રમેથી નંબર 1 સુધી પહોંચાડવા સમગ્ર ટીમ કામે લાગી છે. મહાપાલિકાનો દાવો | આટલા મુદ્દાને અનુસરીશું તો ઇન્દોરને પછાડી પ્રથમ નંબરે આવીશું ગેમ્સના માધ્યમથી વેસ્ટ સેગ્રિગેશન માટે માર્ગદર્શનઅલગ-અલગ કોલેજોના કલ્ચરલ ફેસ્ટિવલમાં સ્વચ્છતા વિશેની માહિતી માટે સંવાદનું આયોજન કરાય છે અને ગેમ્સના માધ્યમથી વિદ્યાર્થીઓને વેસ્ટ સેગ્રિગેશન માટે માર્ગદર્શન આપવામાં આવે છે. જેમાં 50 જાતની અલગ-અલગ ટાઇલ્સ લઇ જઇ માર્ગદર્શન આપવામાં આવે છે જેમાં ‘નેઇલ પોલીસીની બોટલ શેમાં જાય, ભીનો કચરો શેમાં જાય, ડ્રાય કચરો શેમાં જાય’ સહિતનું ટાઇલ્સથી માર્ગદર્શન અપાય છે. તેમજ ઘરે-ઘરે સૂકો અને ભીનો કચરો કેવી રીતે અલગ-અલગ રાખવો અને ટીપરવાનમાં કેવી રીતે નાખવો તેનું માર્ગદર્શન આપવામાં આવે છે. જૂના કપડાં, જૂના શૂઝ, જૂના રમકડાં કલેક્ટ કરી જરૂરિયાતમંદોને અપાય છેમનપા દ્વારા ટ્રીપલ આર રથ ફેરવી જૂના કપડાં, જૂના શૂઝ, જૂના રમકડાં કલેક્ટ કરી તે જરૂરિયાતમંદોને આપવામાં આવે છે. આ માટે મહાનગરપાલિકા દ્વારા 6 ટ્રીપલ આર કેન્દ્રો પણ ખોલવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 5:58 am

ઠગાઇ:તમારુ પાર્સલ અમદાવાદ એરપોર્ટ આવ્યું છે, 25,000 ટ્રાન્સફર કરો, તમારા ડોલર પકડ્યા છે 85,000 મોકલો કહી 1.45 લાખની ઠગાઇ

શિનોર તાલુકાના માલસર મુકામે તારીખ 25 જુલાઈ 2025 સવારે 08:00 થી સાંજના 04:00 દરમિયાન જુદા જુદા સમયે અજાણ્યા ફોન નંબરથી, અજાણ્યા બેન્ક એકાઉન્ટમાં રૂપિયા 1 લાખ 45 હજાર ટ્રાન્સફર કર્યા બાદ પાર્સલ કે નાણાં પરત ના મળતાં જીતેન્દ્રભાઈ જયંતીભાઈ પટેલ ખડકી ફળીયુ, માલસર દ્વારા શિનોર પોલીસ સ્ટેશને ગુનો નોધાવ્યો છે. જેની હકીકત એમ છે કે, ફરિયાદીના પત્ની ભાવનાબેન ઉપર તારીખ 25 જુલાઈ 2025 ના રોજ અજાણ્યા નંબર ઉપરથી whatsapp ફોન આવેલ કે તમારું પાર્સલ કુરિયર દ્વારા અમદાવાદ એરપોર્ટ ઉપર આવેલ છે. જેને છૂટું કરવા માટે રૂપિયા 25,000 તુરત ટ્રાન્સફર કરવા,જેથી પત્ની દ્વારા ફળિયાના રમેશભાઈને રોકડા રૂપિયા 25,000 આપી ટ્રાન્સફર કરાવ્યા હતા. ટ્રાન્સફર કર્યા પછી બિલ ની નકલ, જેમાં iphone ,ઘડિયાળ, ડાયમંડ રીંગ, નેકલેસ, અને ડોલર છે ,તેનો ફોટો મોકલી આપ્યો હતો. અને તરત ફરી પત્નીના નંબર ઉપર whatsapp કોલિંગ થી જણાવેલ કે આ પાર્સલ સી. આઈ.ડી. વાળાએ પકડેલ છે. તેને છૂટું કરવા ₹35,000 ટ્રાન્સફર કરી આપો. જેથી ભાવનાબેને પોતાના પતિને જાણ કરી પતિ દ્વારા ગામના ધર્મેશભાઈ માછી દ્વારા ₹35,000 ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરી ફોન આવ્યો કે, ડોલર સી.આઇ.ડી વાળા એ પકડ્યા છે, એ છોડાવવા માટે રૂપિયા 85 હજાર મોકલી આપો નહીતો સી.આઈ.ડી. વાળા તમને પકડી જશે. જેથી ભાવનાબેને પોતાના પતિ જીતેન્દ્રભાઈ ને જાણ કરતા જીતેન્દ્રભાઈએ પોતાના યસ બેન્કના ખાતામાંથી ફોન કરનારે મોકલેલ બેંકનું નામ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ખાતા નંબર 5827342881 મહારાષ્ટ્ર બ્રાન્ચ ઉપર ચેકથી મોકલી આપ્યા હતા. અને ટ્રાન્સફર કર્યાની સ્લીપનો ફોટો અજાણ્યા નંબર ઉપર મોકલી આપ્યો હતો. પરંતુ ફોન કરતા તે ફોન રિસીવ કરતો નહોતો. તેથી વિશ્વાસઘાત ઠગાઈ થયાનું માલુમ પડતા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર ફરિયાદ કરી હતી. જે શિનોર પોલીસ સ્ટેશને 19 ઓગસ્ટ 2025 થી રજીસ્ટર થયેલ છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 5:54 am

કેડિલા બ્રિજ પર બ્રિજ લોન્ચ કરાયો:કેડિલા બ્રિજ પર બુલેટ ટ્રેન માટે 670 ટનનો બ્રિજ લોન્ચ કરાયો, નવસારીમાં પાર્ટ્સ બન્યા, અમદાવાદમાં એસેમ્બલ કરાયા

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની કામગીરીના ભાગરૂપે કેડિલા બ્રિજ ઉપર 670 ટન વજનનું બ્રિજનું લોન્ચિંગ કરવાનું હતું. તેની ડિઝાઇન દિનેશચન્દ્ર અગ્રવાલના એન્જિનિયરે બનાવી છે. બ્રિજના પાર્ટ નવસારીમાં બનાવાયા હતા. આ સ્ટ્રક્ચરને અમે જમીનથી 16.5 મીટર ઊંચાઈ પર અત્યંત સાવચેતીથી લોન્ચ કર્યું હતું. આ માટે અમે દરેક પાર્ટને ખાસ પ્રકારના બોલ્ટથી ફિટ કર્યા અને એસેમ્બલિંગ માટે 350 ટનની ક્રેન લગાવી હતી. મુંબઈ–અમદાવાદ અપ-ડાઉન લાઇન ખૂબ નજીક હોવાથી પાર્ટ્સને લાઇનથી 9 મીટરના અંતરે રાખ્યા અને સ્પેશિયલી ડિઝાઇન કરેલા સ્ટેજિંગ ઉપર એસેમ્બલ કર્યા. ત્યાર પછી કેડિલા તરફ લગાવેલા 4 મોટા ટ્રેક બીમ પર જેકિંગ પદ્ધતિથી આખો બ્રિજ ધકેલી દીધો. રાત્રે 10 વાગ્યે કામ શરૂ કરીને સવારે 5.30 સુધીમાં કામગીરી પૂર્ણ કરીને તરત જ ટ્રાફિક ખોલી નાખ્યો. સવાર-સાંજ એમ 2 શિફ્ટમાં 100 લોકો સતત કાર્યરત રહ્યા. કામમાં વપરાયેલા તમામ સ્ટીલ અને મશીનરી સંપૂર્ણ ભારતીય છે. > અનિમેશ જયસવાલ, કામગીરીમાં સામેલ એન્જિનિયર

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 5:52 am

ACBની કાર્યવાહી:ભાવનગરના વિસ્તરણ અધિકારી વતી 1.50 લાખની લાંચ લેતાં અમદાવાદનો કોન્સ્ટેબલ ભાણેજ પકડાયો

અમદાવાદનો કોન્સ્ટેબલ અને ખાનગી માણસ રૂ. 1.50 લાખની લાંચ લેતાં પકડાયા હતા. ભાવનગરની શિહોર તાલુકા પંચાયતના કરાર આધારિત માસિક રૂ. 12,500ના પગારથી નોકરી કરતા ક્લસ્ટર કો-ઓર્ડિનેટરે સરકારી રેકોર્ડમાં ચેડાં કર્યા હોવાથી તેને નોકરીમાંથી કાઢી મુકાયો હતો. તેની સામે કેસ ન કરવા અને બાકી પગાર ચૂકવી દેવા વિસ્તરણ અધિકારી દશરથસિંહ ચૌહાણે રૂ. 2 લાખની લાંચ માગી હતી પરંતુ ક્લસ્ટર પૈસા આપવા ઇચ્છતો ન હોવાથી તેમણે એસીબીમાં ફરિયાદ કરી હતી. ક્લસ્ટર કો-ઓર્ડિનેટરે પૈસા લેવા અધિકારીને આનંદનરની એક હૉસ્પિટલમાં બોલાવ્યો પરંતુ તે આવી શકે તેમ ન હોવાથી કોન્સ્ટેબલે ભાણિયા અને બોડકદેવ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ઋતુરાજસિંહ પરમારને પૈસા લેવા મોકલતાં બંને પકડાયા હતા. એસીબી ટીમ સવારથી જ હૉસ્પિટલમાં હતી. કોન્સ્ટેબલ અન્ય કામમાં વ્યસ્ત હોવાથી સાંજે 5 વાગ્યે હૉસ્પિટલ ગયો હતો. એસીબીની ટીમ થાકીને ત્યાંથી નીકળી ત્યાં જ કોન્સ્ટેબલ પણ પહોંચ્યો હતો. ભાસ્કર ઇનસાઇડમામાએ ભાણાને કહ્યું; તું મારું પેમેન્ટ લઈ આવઆ ટ્રેપમાં પકડાયેલા પોલીસ કોન્સ્ટેબલ રુતુરાજસિંહ પરમાર બોડકદેવ પોલીસ સ્ટેશનમાં પાસપોર્ટનું કામ કરે છે. ફરાર આરોપી દશરથસિંહ ચૌહાણ તેના કુટુંબી મામા થાય છે. રવિવારે ભાવનગરમાં એક પ્રસંગ હોવાથી રુતુરાજસિંહ ત્યાં ગયો હતો. જ્યારે શુક્રવારે મામાએ ભાણાને ફોન કરી કહ્યું કે મારે એક પાર્ટી પાસેથી રૂ.1.50 લાખ લેવાના છે. આજે તે અમદાવાદ આવી છે અને પેમેન્ટ આપે છે. હું અત્યારે ભાવનગર છુ, પાર્ટી આનંદનગર રોડ પરની અગ્રવાલ આંખની હોસ્પિટલમાં છે. તો તુ ત્યાં જઈને પૈસા લઈ આવીશ. જેથી મામાના કહેવાથી રુતુરાજ પૈસા લેવા માટે ગયો હતો. જ્યારે તે જ સમયે અન્ય એક ફરાર આરોપી વિરેન્દ્રસિંહ પ્રહલાદસિંહ ગોહેલના કહેવાથી જીગરભાઈ ઠકકર પણ પૈસા લેવા જતા બંને પકડાઈ ગયા હતા.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 5:48 am

શિનોરના માલસરની મહિલા સાથે સાઇબર ફ્રોડ:અમદાવાદ ઍરપોર્ટ પર પાર્સલ આવ્યાનું કહી 1.45 લાખ પડાવ્યા

શિનોર તાલુકાના માલસરમાં અજાણ્યા ફોન નંબરથી અજાણ્યા બૅન્ક ખાતામાં સાયબર ફ્રોડથી રૂ. 1.45 લાખ ગુમાવ્યાની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. માલસરના જિતેન્દ્રભાઈનાં પત્ની ભાવનાબેન પર 25 જુલાઈએ અજાણ્યા નંબરથી વોટ્સએપ પર ફોન આવ્યો હતો અને તમારું પાર્સલ કુરિયરથી અમદાવાદ ઍરપોર્ટ પર આવ્યું છે. પાર્સલ છૂટું કરવા રૂ. 25,000 ટ્રાન્સફર કરવા કહ્યું હતું. એટલે પત્નીએ ફળિયાના રમેશભાઈને રોકડા રૂ. 25,000 આપી ટ્રાન્સફર કરાવ્યા હતા. તે પછી બિલની નકલ, આઇફોન, ઘડિયાળ, ડાયમંડ રિંગ, નેકલેસ અને ડૉલરનો ફોટો મોકલ્યો હતો. પછી સીઆઅડીએ પાર્સલ પકડ્યું હોવાનું કહી ₹35,000 માગ્યા હતા. આથી ભાવનાબેને એ રૂપિયા પણ મોકલ્યા હતા. ત્યાર પછી આવેલા ફોનમાં ડૉલર છોડાવવા માટે 85 હજાર માગ્યા હતા. જોકે પૈસા આપ્યા પછી કોઈએ ફોન રિસિવ ન કરતાં તેમણે શિનોર પોલીસ સ્ટેશને 19 ઑગસ્ટે ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 5:43 am

ભાસ્કર ખાસ:જેન ઝી ‘મન્કી ગૉડ’ને મહાવીર હનુમાન સમજી શકે એટલે EC ઇજનેરે સઅર્થ-સચિત્ર હેપ્પી હનુમાન ચાલીસા બનાવ્યા

આપણામાંથી અનેક લોકોને હનુમાન ચાલીસા કંઠસ્થ હશે પણ એનો અર્થ બહુ ઓછા લોકો જાણતા હોય છે. એમાંય જેન ઝી માટે તો હનુમાનજીની ઓળખ ‘મન્કી ગૉડ’થી વિશેષ નથી. શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે અર્થ ન સમજાય એવું સ્તુતિગાન વ્યર્થ છે. એટલે સુરતના એમબીએ થયેલા ઈસી ઇજનેર અને લેખક આશિષ એ. ભલાણીએ ‘હેપ્પી હનુમાન ચાલીસા’નું સર્જન કર્યું છે. આમાં હનુમાન ચાલીસાની પ્રત્યેક ચોપાઈનો વાલ્મિકીકૃત રામાયણ, તુલસીદાસજી કૃત રામચરિત માનસ અને શ્રી ભગવત્ ગીતાજીના સંદર્ભ સાથે સરળ શબ્દોમાં અર્થ સમજાવ્યો છે. બાળકોને રસ પડે અને રુચિ વધે એટલે આખું પુસ્તક સચિત્ર અને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં બનાવ્યું છે. ‘કુમતિ નિવાર સુમતિ કે સંગી’, ‘અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા’ જેવી ચોપાઈના સરળની સાથે ગૂઢ, મનોવૈજ્ઞાનિક અને તાર્કિક દૃષ્ટાંતો સાથે ચાલીસાની સમજ આપવા સાથે વાલી-સુગ્રીવ, કર્ણ-અર્જુન વચ્ચેનો ભેદ, હનુમાનજીનાં સૂક્ષ્મ અને વિકટ (વિરાટ) સ્વરૂપ પણ સદૃષ્ટાંત સમજાવ્યાં છે. રીવરફ્રન્ટ પરના પુસ્તકમેળામાં હેપ્પી હનુમાન અનેકને રામભક્ત બનાવી રહ્યા છે. દીકરાએ પ્રેરણા આપી, અઢી વર્ષ સંશોધન કર્યુંઆશિષ ભલાણીએ કહ્યું કે દીકરા સત્યે એક દિવસ રંગ પૂરવા માટે ચિત્ર માગ્યું. એમણે ગૂગલમાં ખાંખાળોખાં કર્યાં તો હલ્ક, સ્પાઇડર મૅન જેવાં વિદેશી પાત્રો જ મળતાં હતાં. દેવી-દેવતાનાં પણ ચિત્રો ન મળ્યાં. છેલ્લે હનુમાનજીનું એક ચિત્ર મળ્યું. એટલે એમણે સચિત્ર હનુમાન ચાલીસા બનાવવાનો નિર્ણય કર્યો. સાથે જ માત્ર 10 વર્ષનું સંઘર્ષમય જીવન વિતાવી સ્વધામ ગયેલા ભત્રીજા ખુશમાંથી પ્રેરણા લઈને ચાલીસાને ‘હેપ્પી’ કર્યા. ચિત્રો દોરવાનો આનંદ અને ‘રામ’નામ શોધવાનો કોયડોબાળકો ચિત્રો દોરીને રામભક્ત હનુમાન અને રામાયણને સમજી શકે એવી ચાલીસા બનાવાઈ છે. અને ચાલીસાના દરેક ચિત્રમાં 1થી 4 વખત ‘રામ’ લખ્યું છે, એ શોધવાનો કોયડો પણ લોકોને રામમય બનાવી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 5:40 am

યુવકે કર્યો આપઘાત:ચાંદખેડામાં યુવકે કોઈક કારણોસર ફાંસો ખાઈ લીધો

ચાંદખેડામાં રહેતા એક યુવકે કોઈ કારણોસર પંખાના હૂકમાં દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે પરંતુ આત્મહત્યા કરવાનું કારણ પોલીસને હજી સુધી મળ્યું નથી. યુવકના આપઘાતની ઘટના અંગે પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે ચાંદખેડા વિસ્તારમાં જગતપુર નાકોડા આબુગીરી સોસાયટીમા રહેતા સુશીલભાઈ દિપકભાઈ બલસારી (ઉ.38)એ શુક્રવારે સવારના 10.45 વાગ્યાના સુમારે પોતાના ઘરમાં કોઈ નહોતું. તે સમયે પંખાના હૂકમાં દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે ચાંદખેડા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આત્મહત્યા માટે જવાબદાર કારણ અંગે તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 5:38 am

ભાસ્કર વિશેષ:પુસ્તક મેળામાં ભારતીય પરિણીતા, ગરબા, સહિતની 35થી વધુ ફિલાટેલી ટપાલ ટિકિટો

આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવમાં ઇન્ડિયા પોસ્ટનો સ્ટોલ નંબર 95 આકર્ષણ બની રહ્યો છે. અહીં દેશની કલાત્મક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક સમૃદ્ધિ રજૂ કરતી 35થી વધુ ફિલાટેલી ટિકિટ અને 12 ફિલાટેલી પોસ્ટ કવરે મુલાકાતીઓને મોહિત કર્યા છે. સ્ટોલ પર સ્ટેમ્પ આધારિત ફોટો ફ્રેમ, કપ, પ્લેટ, ટાઈ-પિન અને વિવિધ ફિલેટિકલ કલેક્શન પણ છે. સાથે જ રામાયણ અને મહાભારત પર આધારિત વિશેષ સ્ટેમ્પ સેટ પણ કલેક્ટર્સને ખાસ આકર્ષી રહ્યા છે. મહોત્સવમાં બાળકોને ખાસ પોસ્ટલ એક્સપિરીયન્સ એટલે કે પોસ્ટકાર્ડ લખવાની પદ્ધતિ લાઈવ પ્રેક્ટિસ દ્વારા સમજાવાય છે. 171 વર્ષથી દેશની સંસ્કૃતિ અને સંચાર વ્યવસ્થામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહેલી ઇન્ડિયા પોસ્ટ આ મહોત્સવમાં વારસાગાથાને જનતા સમક્ષ પ્રભાવશાળી રીતે રજૂ કરી રહી છે. ભારત અને ઓમાને સંયુક્ત રીતે 2023માં ટિકિટ બહાર પાડી હતી. તેમાં દાંડિયા રાસ અને ઓમાનનો અલ-રઝા નૃત્ય દર્શાવ્યાં છે. મુલાકાતીઓ ટપાલ ટિકિટોને શૉ-પિસ, ટાઇ-પિન તરીકે લઈ જાય છેઆ સ્ટેમ્પ 2023માં બહાર પડાયેલા 8 સ્ટેમ્પના મોટા સંગ્રહનો એક ભાગ છે, જે દુલ્હનનાં વસ્ત્રોમાં ભારતનો વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસો ઉજાગર કરે છે. તેમાં તમિલનાડુ, કાશ્મીર, પંજાબ અને ગુજરાતની વૈવિધ્યસભર પરંપરાઓની સુંદર ઝલક મળે છે. ભારત અને ઇઝરાયલનો સંયુક્ત સ્ટેમ્પ 2025માં બહાર પડ્યો હતો.તેમાં ભારતીય હોળી અને યહૂદી પુરીમ તહેવારો દર્શાવવામાં આવ્યા છે.આ સ્ટેમ્પ બંને દેશોના સાંસ્કૃતિક અને રાજદ્વારી સંબંધોને ઉજવે છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 5:37 am

પોલીસ એક્શન મોડમાં:દેશદ્રોહી પ્રવૃત્તિમાં સંડોવાયેલા જિલ્લાના 4200 ગુનેગારોની યાદી તૈયાર કરાઈ

દિલ્હીમાં થયેલા બૉમ્બ ધડાકાને પગલે ડીજીપીએ રાજ્યમાં 30 વર્ષમાં દેશદ્રોહી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ગુનેગારોની યાદી 100 કલાકમાં તૈયાર કરવા સૂચના આપી હતી. તેમાં હથિયાર, ડ્રગ્સ, વિસ્ફોટક સામગ્રી, બનાવટી નોટો, ટાડા, પોટા, મોકા સાથે સંકળાયેલા ગુનેગારોનો સમાવેશ થાય છે. આથી શહેર પોલીસે 3000 અને જિલ્લા પોલીસે 1200 મળીને 4200 ગુનેગારોની યાદી તૈયાર કરી 200 ગુનેગારોની અત્યારની પ્રવૃત્તિ ચકાસી હતી. અમદાવાદ એસઓજી ડીસીપી રાહુલ ત્રિપાઠી એ જણાવ્યું હતુ કે, અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી 3000 ગુનેગારોની માહિતી એકત્ર કરવામાં આવી હતી. આ માહિતી જે-તે ઝોનના ડીસીપીને મોકલીને તેમના વિસ્તારના ગુનેગારને ચેક કરવા સૂચના આપી હતી. જેમાંથી 2200 ગુનેગારને ચેક કરાયા હતા. પોલીસનું કહેવું છે કે જે યાદી મળી હતી તેમાંથી અમુક જેલમાં છે, અમુક મૃત્યુ પામ્યા છે, અમુક હાજર મળ્યા હતા, અમુકે શહેર છોડી દીધું હતંુ જ્યારે બાકીનાની તપાસ ચાલી રહી છે. આ જ રીતે અમદાવાદ જિલ્લા એસપી ઓમપ્રકાશ જાટની સૂચનાથી એસઓજી સહિતની ટીમોએ જિલ્લામાં 1200 ગુનેગારોની યાદી તૈયાર કરી હતી. જેમાંથી 960 ગુનેગારોને ચેક કરવામાં આવ્યા હતા. ભાસ્કર ઈનસાઈડમૃત ગુનેગારનાં સર્ટિ, હારવાળા ફોટો લેવાયાભૂતકાળમાં પકડાયેલા ગુનેગારોની યાદીના આધારે પોલીસ તેમના ઘરે પહોંચી હતી. કેટલાક ગુનેગાર સજા ભોગવીને અથવા જામીન ઉપર છૂટ્યા હોવાથી મળી આવ્યા હતા. જે ગુનેગાર હાજર નહોતા, તેમના પરિવારના સભ્યો પાસેથી માહિતી મેળવી હતી અને જેલમાં નથી તો ક્યાં છે અને શું કરે છે તે સહિતની માહિતી મેળવી હતી. યાદીમાંના કેટલાક તો મૃત્યુ પણ પામ્યા હતા. મૃત્યુ પામેલા ગુનેગારના પોલીસે હારવાળા ફોટા પાડીને મરણનો દાખલો પણ સાથે લીધો હતો.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 5:35 am

શિક્ષણની ગુણવત્તા સુધારવાની પહેલ:1500 શિક્ષકોને શિક્ષણની ગુણવત્તા સુધારવા એઆઇની તાલીમ અપાશે

શહેરની જાણીતી સ્કૂલોના એસોસીએશન એઓપીએસ દ્વારા તેમની સાથે જોડાયેલી 50 સ્કૂલોના 1500 શિક્ષકો માટે રવિવારે એક સેમિનારનું આયોજન કરાયું છે. જેમાં શિક્ષકો એઆઇથી કેવી રીતે બાળકોને અભ્યાસ કરાવી શકે તેની તાલીમ અપાશે. શિક્ષકોને પોતાના કામમાં પણ એઆઇ કેવી રીતે મદદ કરી શકે તેનું પ્રેક્ટીકલ જ્ઞાન અપાશે. એઆઇના ઉપયોગ માટે મોટી બાબત એઆઇને પ્રશ્ન પુછવાની કળા છે. કેમ કે એઆઇને તમે કેવી રીતે પુછો છો તેના આધારે જ તમને જવાબ મળે છે. શિક્ષકોને એઆઇ માટે પ્રોમ્પ્ટ લખવાની પણ તાલીમ અપાશે. આ પ્રોગ્રામમાં શિક્ષકોને જ નહીં પરંતુ સંચાલક મંડળના સભ્યોને પણ તાલીમ અપાશે. જેથી તેઓ એઆઇની મદદથી કઈ રીતે વાલી વચ્ચેનો સેતુ બની શકે. બાળકોને ગીતની સાથે મ્યુઝીક કમ્પોઝિંગ વિશેની તાલીમ અપાશેઆ પ્રોગ્રામમાં બાળકોની ઇત્તર પ્રવૃત્તિમાં પણ કેવી રીતે એઆઇનો ઉપયોગ કરી શકાય તેની તાલીમ અપાશે. સાથે જ બાળકો પોતાનું જ ગીત બનાવી શકે અને તે ગીતમાં મ્યુઝીક પણ જોડી શકે તે પ્રકારની માહિતી શિક્ષકોને અપાશે. જેથી બાળકો માટે એઆઇનો સારી રીતે ઉપયોગ કરી શકાય અને તેઓને ઇત્તર પ્રવૃત્તિમાં પણ ફાયદો થશે. એઆઇથી વાલી અને સ્કૂલને ફાયદો થશે

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 5:34 am

IIM-A કરશે સર્વે:IIM-A દરેક વોર્ડના 200 નાગરિકને પૂછશે - ઓલિમ્પિકથી શહેરને ફાયદો થશે કે નહીં?

2036ની ઓલિમ્પિક રમતો અમદાવાદમાં યોજાય તો તેની સંભવિક સામાજિક અને આર્થિક અસર અંગે આઇઆઇએમ અમદાવાદ અભ્યાસ કરશે ‘ઓલિમ્પિક 2036 ઇમ્પેક્ટ એસેસમેન્ટ સ્ટડી’ અંગેનો અહેવાલ તૈયાર કરાશે. આ માટે મ્યુનિસિપલ કમિશનરે દરેક વિભાગના અધિકારીને આઇઆઇએમના પ્રોફેસર દ્વારા માગવામાં આવતી માહિતી આપવા જણાવ્યું છે. કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, દરેક વોર્ડમાં 200 લોકો પર સરવે કરાશે. જેમાં લોકોના અભિપ્રાય લેવાશે કે ઓલિમ્પિક આવવાથી શું તેમના સમાજીક અને આર્થિક સ્થિતીમાં કોઇ ફેરફાર થશે, થશે તો કેવા પ્રકારની અસર થશે? જેવા તમામ મુદ્દાઓને આવરી લેવાશે. હાલમાં તમામ વિભાગોને માહિતી એકઠી કરવા માટેની સુચના આપી છે. આવનારા સમયમાં પ્રશ્નોત્તરી તૈયાર કરાયા બાદ સરવેની કામગીરી હાથ ધરાશે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા કોર્પોરેશનમાં સરવેની મંજૂરી માટે પત્ર કરાયો હતો. 2036માં અમદાવાદમાં ઓલિમ્પિક માટેની દાવેદારી કરવામાં આવી રહી છે. જેને ધ્યાનમાં રાખીને શહેરમાં પહેલા સરવે કરાશે. મોટા કાર્યક્રમની શહેર પર શું અસર થશે તેની ચકાસણી કરવામાં આવશે. આ માટે દરેક વિભાગને સુચના આપવામાં આવી છે અને લોકો સાથે જોડાયેલી દરેક બાબતોને આઇઆઇએમના પ્રોફેસર સાથે શેર કરવા માટે જણાવ્યું છે. મ્યુનિસિપલ કમિશનરે આ માટે 9 નોડર ઓફિસરની નિમણુંક કરી છે. જેમાં દરેકને એક જવાબદારી આપવામાં આવી છે. જેમાં તેઓએ વિવિધ પ્રોજેક્ટની માહિતી આપવાની રહેશે. ઓલિમ્પિકને કારણે શહેરમાં વિકાસની સાથે દરેક બિઝનેસ પર અસર થાય છે. સાથે જ લોકોના જીવન ધોરણ પર પણ અસર કરે છે. શહેરના દરેક વોર્ડના લોકોને જીવન ધોરણ ઉંચુ લાવવા માટેની કામગીરી કરાશે. આઇઆઇએમ દ્વારા સરવે કરાયા બાદ આ રિપોર્ટ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીને પણ મોકલાશે. આઇઆઇએમના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજ્ય સરકાર દ્વારા આઇઆઇએમને સરવે કરવાની કામગીરી સોંપવામાં આવી છે. જેના પર સંસ્થાના પ્રોફેસર પ્રશ્નોત્તરી તૈયાર કરશે. આ વિભાગોને સરવેમાં સામેલ કરાયા છે

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 5:33 am

ભવ્ય અન્નકૂટનું આયોજન:નવાપુરાનાં બહુચર માને 4 મહિના પહેલાં સાચવેલી એક હજાર કિલો કેરીનો 2500 કિલો રસ ધરાવાયો

માગશર સુદ બીજ ને શનિવારે બહુચર માતાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે શહેરનાં પ્રાચીન નવાપુરાના જૂના બહુચરાજી માતાના મંદિર સહિત થલતેજ, સારંગપુર તળિયાની પોળસ્થિત મંદિર, ઉસ્માનપુરા ખાતેના બહુચર માતાનાં મંદિરોમાં અન્નકૂટ ધરાવાયો હતો. નવાપુરાના મંદિરે 4 મહિના સુધી સાચવી રાખેલી 1 હજાર કિલો કેરીનો 2500 કિલો રસ ધરાવાયો હતો.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 5:32 am

કુમકુમ મંદિરે આજથી વચનામૃત ગ્રંથની જયંતી ઉજવાશે:અમેરિકા સહિત 5 દેશમાં પ્રચાર માટે વચનામૃતના લીરિક્સ બનાવાયા

પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુખેથી નીકળેલી વાણી, વચનામૃત ગ્રંથની માગશર સુદ ચોથ ને રવિવારે 206મી જયંતી ઉજવાશે. મણિનગરમાં શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ કુમકુમ મંદિરે તા. 23 અને 24 નવેમ્બરે વિશિષ્ટ કાર્યક્રમ યોજાશે. જયંતી નિમિત્તે અમેરિકા, લંડન, દુબઈ, કેનેડા, ઑસ્ટ્રેલિયા આદિ 5 દેશમાં વચનામૃત ગ્રંથનો સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીજીનો ઓડિયો મોકલાશે. કુમકુમ મંદિરના શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું કે ફોનમાં વાંચી અને સાંભળી શકાય તે રીતે વચનામૃત ગ્રંથ પર લિરિક્સ બનાવાયા છે અને તેનું 60 કલાકનું ઓડિયો રેકોર્ડિંગ કરાયું છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 5:29 am

ટ્રમ્પના પુત્રએ લીધી વનતારાની મુલાકાત:શિકારના શોખીન ટ્રમ્પના દીકરાએ જામનગરમાં વનતારા જોયા બાદ કહ્યું, આ પ્રાણીઓનું જીવન મારા કરતાં પણ સારું

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ટ્રમ્પ જુનિયર હાલ ભારતના પ્રવાસે છે. ઉદયપુરમાં લગ્ન પ્રસંગના મહેમાન બનેલા ટ્રમ્પ જુનિયરે જામનગરમાં આવેલા અનંત અંબાણીના વનતારા એનિમલ કન્ઝર્વેશન પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ પોતે શિકારના શોખીન છે. પણ વનતારાની મુલાકાત દરમિયાન તેમણે કહ્યું હતું કે આ પ્રાણીઓનું જીવન મારા કરતાં પણ સારું છે. ટ્રમ્પ જુનિયરે આ પ્રકારનો પ્રોજેક્ટ આ પહેલા ક્યારેય જોયો નથી એવો સ્વીકાર પણ કર્યો હતો. ટ્રમ્પ જુનિયરે ગુરુવારે વનતારાની મુલાકાત લીધી હતી. એ પછી શુક્રવારે તેઓ ઉદયપુર માટે રવાના થયા હતા. પ્રાણીઓની સારવાર તથા જાળવણી માટે અહીં કરવામાં આવતા પ્રયાસોની તેમણે સરાહના કરી હતી. અનંત અંબાણી સાથેના એક વીડિયો મેસેજમાં ટ્રમ્પ જુનિયરે કહ્યું હતું કે, ‘મેં અદભૂત અનુભવ મેળવ્યો છે. આ (પ્રોજેક્ટ) એક વિઝન છે. જેનો લાભ તમામ પ્રાણીઓને મળી રહ્યો છે. અહીં તેમની સારવાર કરીને નવજીવન આપવામાં આવે છે. હું જીવું છું એના કરતા પણ તેમનું (પ્રાણીઓનું) જીવન સારું છે. શિકારના શોખના કારણે અગાઉ ટ્રમ્પ જુનિયરની ટીકા થઈ હતી ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર શિકારના શોખીન છે. અગાઉ ઝિમ્બાબ્વેના પ્રવાસ દરમિયાન કરેલા શિકારની તસવીરોના કારણે દુનિયાભરના વન્યજીવ પ્રેમીઓ તથા સંરક્ષકોમાં નારાજગી ફેલાઈ હતી. તાજ મહાલ જોયા બાદ ટ્રમ્પ જુનિયરે વનતારાને અજાયબી ગણાવી જામનગર આવતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે તાજ મહાલની મુલાકાત લીધી હતી. જો કે વનતારાની મુલાકાત બાદ તેમણે આ પ્રોજેક્ટને વિશ્વની અનોખી અજાયબી ગણાવી હતી.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 5:28 am

SIRના ફોર્મ ભરવા મુદ્દે BLOની કામગીરી અંગે ચૂંટણી પંચની સ્પષ્ટતા:મતદારોને વિગત ભરવી ન ફાવે તો સહી કે અંગૂઠો કરી ફોર્મ આપી શકે

ગુજરાતમાં હાલ સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ(એસઆઇઆર) ચાલી રહ્યો છે. આ દરમિયાન ઘણાં મતદાતાઓને ફોર્મમાં ભરવાની વિગતો અંગે અસમંજસ છે. આ સમસ્યાના નિવારણ માટે ચૂંટણી પંચની સૂચના મુજબ જે મતદાતાને પોતાનું ફોર્મ ભરતા ન આવડતું હોય તો તેઓ બીએલઓને માત્ર સહી કરેલું ફોર્મ આપી શકે છે. તેમની વિગતો બીએલઓ પોતાની પાસે રહેલાં રેકર્ડ્સમાંથી તેમની હાજરીમાં ભરી આપશે. જો કે આ સુવિધા માત્ર 2002ની સઘન મતદાર યાદી સુધારણામાં સમાવિષ્ટ મતાદાતાઓ માટે જ રહેશે. ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનરની કચેરીએ સ્પષ્ટતા કરી છે કે, ચૂંટણી તંત્ર એવી અપેક્ષા રાખે છે કે દરેક મતદાર પોતાની વિગતો જાતે ભરીને આપે. ચૂંટણી કાર્ડનો નંબર કે મતક્ષેત્ર, અનુક્રમ નંબર સહિતની વિગતો જો ખ્યાલ ન હોય તો તેઓ તે માટે બીએલઓની મદદ લઇને તે ભરે. પરંતુ આમાંથી કોઇ વિકલ્પ અનુકૂળ ન હોય તો તેઓ પોતાની સહી કરીને બાકીની વિગતો બીએલઓ પાસે ભરાવી શકશે. કચેરીના સૂત્રોએ જણાવ્યું કે, કેટલાંક મતદાતાઓની તેવી રજૂઆતો છે કે તેમનું કે તેમના માતા-પિતાનું નામ પાછલી યાદીમાં છે કે નહીં તેની તેમને ખાતરી નથી. આ ઉપરાંત 2002માં બનેલી યાદી બાદ ગુજરાતમાં મતવિસ્તારનું નવેસરથી સીમાંકન થયું હોવાથી અગાઉ તેઓ કયા મત વિસ્તારમાં મતદાતા તરીકે નોંધાયા હતા તેની વિગતો યાદ નથી. આવા મતદાતાઓએ ચિંતા કરવાની જરૂર નથી, તેમની તમામ વિગતો બીએલઓ પાસેથી મળી શકે છે. 2002 બાદ ઉમેરાયેલા મતદાતાઓએ ફોર્મ જાતે ભરવું પડશે, પણ મદદ મળી રહેશેલગભગ 50 ટકા કરતાં વધુ મતદાતાઓ ગુજરાતમાં એવાં છે જેમના નામ 2002ની યાદીમાં નથી. આવા મતદાતાઓએ પોતાનું નામ નોંધાવતી વખતે પોતાના માતા-પિતા(સંબંધી)ની વિગતો આપવા સાથે તેમના મતદાતા તરીકેની નોંધણીની વિગત, પોતાના અને માતાપિતાના ઓળખ અને રહેઠાણ સહિતના પુરાવા પણ જમા કરાવવાના રહે છે. આથી તેઓ માત્ર સહી કરીને ફોર્મ આપી દેવાને બદલે પોતાનું ફોર્મ જાતે ભરે તે હિતાવહ રહેશે. અલબત્ત આ ફોર્મ ભરવા માટે તેઓ પોતાના બીએલઓની મદદ લઇ શકશે. બીએલઓ સાથે કોલ બુક કરવાથી સરળતા રહેશેજો મતદાર પાસે પોતાના બીએલઓની વિગતો ન હોય તો તેઓ ભારતીય ચૂંટણી પંચની વેબસાઇટ પર બૂક કોલ વિથ બીએલઓ વિકલ્પ પસંદ કરી તેના પર ક્લિક કરીને વિગતો દાખલ કરશે તો તેને પોતાના બીએલઓની વિગત મળી શકશે અને તેમની સાથે વાત કરવા માટેનો કોલ બૂક કરાવી શકાશે. તે પછી બીએલઓ મતદાતાનો નોંધાવેલા નંબર પર ફોન દ્વારા સંપર્ક કરી મદદ કરશે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 5:23 am

ભાસ્કર બ્રેકિંગ:તપાસની ફી નક્કી; રૂ. 27 થી 42 હજાર ભથ્થું, 6 મહિનામાં પરિણામ, નહીંતર 50% કપાશે...

ગુજરાત સરકારે હવે કાયમી કર્મચારીઓ સામેની ખાતાકીય તપાસ નિવૃત અધિકારીઓને સોંપવાનો નિર્ણય કર્યો છે. સરકાર દ્વારા ખાતાકીય તપાસના દર સાથેનો ખાસ ઠરાવ પણ કરાયો છે. જેમાં નિવૃત અધિકારીઓને ખાતાકીય તપાસમાં 27 હજારથી 42 હજાર સુધીનું મહેનતાણું ચૂકવાશે. જો 6 મહિનામાં તપાસ અહેવાલ રજૂ ના કરે તો 50% મહેનતાણું કપાઈ જશે. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ, સરકારના પ્રાથમિક અને ખાતાકીય તપાસના કેસોમાં પેનલ પરના નિવૃત અધિકારીની નિમણૂક, મહેનતાણું નક્કી કર્યું છે. નિવૃત તપાસ અધિકારીઓમાં નાયબ સચિવ અથવા તેને સમકક્ષ પદ અથવા તેની ઉપરના પદ અને અધિક્ષક ઈજનેર કે તેથી ઉપરના પદ પર નિવૃત થયેલાને લેવાશે. આ અધિકારીઓએ માનસિક અને શારીરિક સ્વસ્થતાનું પ્રમાણપત્ર અને અગાઉ ખાતાકીય તપાસ કે ફોજદારી કેસ નથી તેની બાંહેધરી આપવી પડશે. ખાતાકીય તપાસના દરો ખાતાકીય તપાસઆક્ષેપિત એક હોય તો નિવૃત તપાસ અધિકારીને 27થી 37 હજાર ચુકવાશે, સેવામાં ચાલુ અધિકારીને 8 થી 13 હજાર ચુકવાશે. સંયુક્ત તપાસમાંઆક્ષેપિત 2થી 5 હોય તો નિ. અધિકારીને 30 થી 40 હજાર અને સેવા માં ચાલુ હોય 10 થી 15 હજાર ચુકવાશે. આક્ષેપિતની સંખ્યા 5થી વધુ હોય તો નિવૃત અધિકારી ને 32000 થી 42000 સુધી અને સેવામાં ચાલુ હોય તો 12000થી 17000 હશે. કેસ દીઠ પ્રાથમિક તપાસ માટે 25 હજાર, જેમાં સ્ટેશનરીનો ખર્ચ સામેલનિવૃત અધિકારી ને પ્રાથમિક તપાસના કેસ માટે પ્રત્યેક કેસ દીઠ 25 હજાર મહેનતાણું મળશે. જેમા ટપાલ, ઝેરોક્ષ, ટેલિફોન, સ્ટેશનરી સહિતનો ખર્ચ પણ સામેલ કરવામાં આવશે.​​​​​​​ સમયમર્યાદામાં કેસ નિકાલ ના થાય તો પૈસા કાપવામાં આવશેજો તપાસ અધિકારી 3 મહિનામાં પ્રાથમિક તપાસનો અહેવાલ રજૂ ના કરે તો 20%રકમ કપાઈ જશે. 6 મહિનામાં પણ અહેવાલ રજૂ ના કરે તો 50%રકમ કપાઈ જશે. એક વર્ષમાં 12થી વધુ કેસ સોંપાશે નહીં. નિવૃત્તિ સમયે જ ભ્રષ્ટાચારી સામે પગલાં લેવાની નીતિગુજરાત સરકારે 2021 માં જ તમામ વિભાગ ને પરિપત્ર કરી આદેશ કર્યો હતો કે,નજીકના ભવિષ્યમાં નિવૃત થનારા અધિકારીઓ સામે ના શિક્ષાત્મક પગલાં ભરવા ના હોય તો તાત્કાલિક કાર્યાવહી કરવી, સામાન્ય સંજોગોમાં એવું થતું હતું કે, કોઈ વિભાગના અધિકારીઓ કે કર્મચારીઓ સામે તકેદારી આયોગ એ પગલાં લેવાની ભલામણ કરી હોય કે ભ્રષ્ટાચાર કે ગેરરીતિ ની ફરિયાદ હોય તો તેની સામે નિવૃત્તિ ના દિવસે કે તે પછી કાર્યવાહી કરવામાં આવતી હતી,પરિણામે ભુપેન્દ્ર પટેલ સરકારે તાત્કાલિક અસરથી પગલાં લેવા આદેશ કર્યો હતો​​​​​​​ ભાસ્કર ઇનસાઇડ ​​​​​​​હવે તપાસ નહીં અટકે, 6 માસમાં તપાસ પૂરી થશે, નિવૃતિ પહેલાં ભ્રષ્ટને સજા​​​​​​ નિવૃત અધિકારી કેમ તપાસ અધિકારી?વિભાગોમાં ખાતાકીય તપાસોનો ફાઇલોના ઢગલા હોય છે. અનેક ફાઇલો 2-3 વર્ષ સુધી પેન્ડિંગ રહે છે. વર્તમાન અધિકારી ચાલું નોકરીના કારણે પૂરતો સમય નથી ફાળવી શકતા. નિવૃત અધિકારીને બહોળો અનુભવ હોય છે. કોઇ પદ પર ચાલું ન હોવાથી ભેદભાવ થવાની શક્યતા ઓછી.તપાસ અને નિર્ણય પર શું અસર થશે?તપાસની ગતિ વધશે. 6 માસમાં રિપોર્ટ ન આપવાથી 50% રકમ કાપવાના નિયમથી સમયસીમાનું પાલન થઈ શકશે. કેસોનો ઝડપી નિકાલ થશે. નિષ્પક્ષતા વધશે. તપાસ અધિકારી જેટલું કામ કરશે, તેટલું વળતર મળશે.ભ્રષ્ટાચાર સાફ થઇ થશે?ના. સંપૂર્ણ રીતે નહીં. પરંતુ બે મોટા ફેરફારો ચોક્કસ આવશે.​ પહેલો ડર અને શિસ્ત રહેશે. લોકોને ખબર હશે કે ફાઇલ હવે 3 થી 6 મહિનામાં પતી જશે. બીજો નિષ્પક્ષતા વધશે. હવે કોઈ પણ તપાસ પોતાના જ વિભાગવાળા નહીં કરે. તકેદારી આયોગમાં 10 વર્ષથી વધુ પડતર કેસ

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 5:21 am

SIR કામગીરી અંગે ફરિયાદ:શાહપુર, દરિયાપુર વિધાનસભામાં BLO બે ફોર્મના બદલે એક ફોર્મ આપતા હોવાની ફરિયાદો

શાહપુર, દરિયાપુર વિધાનસભાના લોકોને બીએલઓએ માત્ર એક જ યુનિક એન્યુમરેશન ફોર્મ આપવામાં આવતા ફરિયાદ કરવામાં આવી છે. એસઆઈઆરની કામગીરીમા દરેક મતદારોને બે ફોર્મ આપવા ફરજિયાત હોવા છતા કલેક્ટર કચેરીના અણધડ આયોજનના કારણે લોકોને બે ફોર્મ મળી શકતા નથી. એક ફોર્મ લોકોએ ભરીને બીએલઓને આપવાનું છે જ્યારે બીજો ફોર્મ રસીદ તરીકે પોતાની પાસે રાખવાનું રહેશે. જોકે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા તૈયારી વિના જ સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝનની કામગીરી શરૂ કરી દેવામા આવી છે તેવું કામગીરીમા પણ દેખાય છે. બીએલઓ પાસે 1200 લોકોના ફોર્મને સંભાળવાની જવાબદારી હોવાથી કામગીરી દરમિયાન કેટલાક ફોર્મ આગળ-પાછળ થઈ જાય તો લોકો પાસે રસીદ તરીકે બીજો ફોર્મ રહે તે માટે લોકોને બે ફોર્મ આપવામા આવી રહ્યા છે. એક જ ફોર્મની આપ્યાની ફરિયાદ લોકોએ પોતાના વિધાનસભાના અધિકારીને કરી હતી. જોકે અધિકારીએ જણાવ્યું કે જે લોકોએ ફોર્મની કોપી જોઈતી હોય તેઓ સંબંધિત કચેરી ખાતે આવી ફોટો પાડી શકશે. લોકોને ફોર્મની બીજી કોપી આપવાની જગ્યાએ તેઓને કચેરી ખાતે બોલાવીને ફોટો પાડવાની સલાહ અધિકારીઓ આપી રહ્યા છે. બીએલઓ પાસે કામનું ભારણ વધવાનું મુખ્ય કારણ 2002ની મતદાર યાદીમાંથી નામ શોધીને લોકોને તે અંગે જણાવવું અને ફોર્મ ભરવામા મદદ કરવી પડે છે. જેના કારમે બીએલઓ પાસે ફોર્મ લેવાની અને લોકોને જવાબ આપવામા મોડું થઈ રહ્યું છે. કેટલાક વિસ્તારમાં તો રાજકીય પક્ષોના કાર્યકરો જ ફોર્મ ભરાવી ઉઘરાવી રહ્યા છે. 2002ની યાદીમાંથી નામ શોધી-ફોર્મ ભરાવવામાં મદદ કરવી પડતી હોવાથી કામમાં વિલંબનો BLOનો દાવો કેટલાક તો એવા છે જેઓનું સરનામું અલગ છે અને ત્યાં રહેતા નથી, આજે દરેક બૂથ પર ફોર્મ સ્વીકારાશેકલેક્ટર કચેરીના ચૂંટણી વિભાગના આંકડા મુજબ અત્યાર સુધી શહેરમાં 99 ટકા લોકોને એન્યુમરેશન ફોર્મની વહેંચણી કરી દેવાઈ છે. હવે બીએલઓ દ્વારા લોકોના ફોર્મ ઘરેથી પરત લેવાની કામગીરી શરૂ કરી દેવામા આવી છે. સાથે કેટલાક લોકો એવા મળી રહ્યા છે કે તેઓનું સરનામું અલગ છે અને હવે તેઓ ત્યાં રહેતા નથી. તેઓ ફોર્મ લઈ ગયા બાદ પણ સમયસર ફોર્મ આપવા આવતા નથી. શનિ-રવિ બે દિવસ દરેક બુથ પર ફોર્મ પરત લેવાની કામગીરી કરવામા આવી રહી છે, ત્યારે મોટાભાગના બુથ પર મોટી સંખ્યામાં હાજર રહીને પ્રશ્નો પૂછ્યા હતા.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 5:08 am

સોસાયટીના રિડેવલપમેન્ટની કામગીરી:રિડેવલપમેન્ટ માટે છેલ્લાં 4 વર્ષમાં 52 સોસાયટીની અરજી, 35ને મંજૂરી મળી

છેલ્લા ચાર વર્ષમાં હાઉસિંગ બોર્ડ ખાતે 52 સોસાયટીના લોકોએ રિડેવલપમેન્ટ માટે અરજી કરી હતી. જેમાંથી 35 સોસાયટીના રિડેવલપમેન્ટમાં ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરીને લેટર ઓફ એક્સેપ્ટન્સ આપેલ છે. જ્યારે 28 સોસાયટીના રિડેવલપમેન્ટમાં ત્રિપક્ષીય કરારની કામગીરી પૂર્ણ કરાઈ છે. છેલ્લા ચાર વર્ષમાં હજુ સુધી 16 સોસાયટીમાં કામગીરી કરવાની મંજૂરી અપાઈ. અને 10 સોસાયટીઓનું રેરા રજીસ્ટ્રેશન પૂર્ણ કરવામા આવ્યા છે. હાઉસીંગ બોર્ડના અધિકારીઓ દ્વારા કરાયેલ ઈન્સ્પેક્શનની કામગીરીના અંતે 22 સોસાયટીને ભયજનકની સ્થિતિમાં મૂકાઈ છે. 2024માં સૌથી વધુ 21 સોસાયટીએ રિડેવલપમેન્ટ માટે અરજી કરી હતી તેમાંથી 8 સોસાયટીના ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે. જ્યારે બાકીના કેસમાં રિડેવલપમેન્ટ મુદ્દે હાઈકોર્ટમાં કેસ ચાલતા હોવાના કારણે મોડું થતું હોય છે. રિડેવલપમેન્ટની કામગીરી સાથે જોડાયેલ સભ્યોએ જણાવ્યું કે હાઉસિંગ બોર્ડ દ્વારા સમયમર્યાદામાં પ્રક્રિયા પૂરી કરાતી ન હોવાથી વિલંબ થાય છે. કામગીરીમાં વિલંબ થવાના કારણો

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 5:07 am

હક્કની લડાઈ:વાંઢીયામાં 36 અને લોડાઈમાં 18 ખેડૂતોની અટકાયત

અદાણી એનર્જી સોલ્યુશન્સ દ્વારા રાષ્ટ્રીય વીજ ગ્રીડના ટ્રાન્સમિશન કોરિડોરની કામગીરી ચાલી રહી છે, જે કચ્છના અનેક ગામડાઓમાંથી પસાર થાય છે. કંપની દ્વારા વિજપોલ ઉભા કરવાની કામગીરી મુદે કિસાનો અને કંપની અને પોલીસ વચ્ચે વિવાદ સર્જાયો છે. એક તરફ ખેડૂતો કંપની પાસેથી પૂરતા વળતરની માંગ કરી રહ્યા છે. બીજી તરફ કંપની કહી રહી છે કે અસરગ્રસ્ત જમીનમાલિકો માટે વાજબી વળતર નક્કી કરવા માટે જિલ્લા વહીવટીતંત્રનો સંપર્ક કરીને તમામ હિસ્સેદારો સાથે અનેક રાઉન્ડની સુનાવણી કરી હતી વળતર નક્કી કર્યું અને અદાણી એનર્જી સોલ્યુશન્સને કામ ચાલુ રાખવાની મંજૂરી અપાઈ છે. કંપની ખેડૂતોના ખેતરોમાં કામ માટે જાય છે ત્યારે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, જેથી પોલીસ દ્વારા કિસાનોની અટકાયત કરી છે. કિસાનોને કંપની પ્રતિ ચોરસ મીટર 2 હજારનું વળતર આપી છે, જયારે કિસાનો 5 હજાર પ્રતિ ચોરસ મીટરની માંગ કરી રહ્યા છે. વાંઢીયામાં છેલ્લા 11 દિવસમાં 481 ખેડૂતોની અટકાયત થઇ છે. પોલીસ ખેડૂતોની અટકાયત કરીને સાંજે તેમને મુક્ત કરી દે છે, શનિવારે વધુ 36 કિસાનોની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી હતી. તો આ તરફ ભુજના લોડાઈ ગામમાં પણ આજ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ અંગે ભુજ તાલુકા કિસાન સંઘના પ્રમુખ કાનજીભાઈ ગાગલે જણાવ્યું હતું કે છેલ્લા 6 દિવસથી કંપની દ્વારા કિસાનોને કોઈ પણ જાતની વળતરની વાત કર્યા વિના કામ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેનો ખેડૂતો વિરોધ કરતા હોવાથી રોજ પોલીસ દ્વારા ખેડૂતો અને કિસાન સંઘના આગેવાનોની અટકાયત કરવામાં આવે છે. શનિવારે પણ 18 ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી. લોડાઈમાં કુલ 23 અસરગ્રસ્ત ખેડૂતો છે. 1 વર્ષ આગાઉ કંપની દ્વારા 6 ખેડૂતોના ખેતરમાં વીજ પોલ ઉભા કર્યા હતા જેનું વળતર હજુ સુધી ખેડૂતોને મળ્યું નથી.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 5:06 am

વેધર રિપોર્ટ:હજુ 4 દિવસ સુધી રાતના સમયે ઠંડીનો ચમકારો અનુભવાશે

અમદાવાદ સહિત રાજ્યમાં હાલ પૂર્વના તેજ પવન જમીન પર નીચલા સ્તરે ફુંકાઈ રહ્યા છે. તેની સાથે જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધ્યુ છે. આ પરિસ્થિતિમાં હજુ આગામી 24 કલાક સુધી તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો વધારો થવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદનું લઘુતમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહેશે જેથી રાતના સમયે ઠંડીનો ચમકારો અનુભવાશે. શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા 0.9 ડિગ્રી ઘટીને 31.1 ડિગ્રી તેમજ લઘુમમ તાપમાન 0.3 ડિગ્રી વધીને 16.3 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યમાં સૌથી વધુ નલિયામાં 10.8 અને રાજકાટોમાં 14.2 તેમજ ડિસામાં 14.8 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 5:06 am

સિટી એન્કર:ગાયનેકૉમેસ્ટીઆ: હોર્મોનના અસંતુલનના કારણે સ્કૂલમાં બુલિંગનો ભોગ બનતાં બાળકોની સંખ્યા, રોજ સરેરાશ 1 કેસ આવે છે: નિષ્ણાત

શહેરની સ્કૂલોમાં ઘણા વિદ્યાર્થીઓ ગાયનેકોમેસ્ટિઆ નામે ઓળખાતી શારીરિક સ્થિતિના કારણે બુલિંગનો ભોગ બની રહ્યાં છે. હોર્મોનના અસંતુલનના કારણે બ્રેસ્ટ ટિશ્યુના પ્રમાણમાં વધારો થતા છાતીના ભાગ ઉપસી આવે છે. આ સ્થિતિ ગાયનેકૉમેસ્ટીઆ નામે ઓળખાય છે. આ શારીરિક સ્થિતિના કારણે ખાસ કરીને ધોરણ 7થી 12ના બાળકો સતામણીનો ભોગ બની રહ્યાં છે. જેના કારણે ઘણા બાળકોને માનસિક બીમારીનો સામનો કરવો પડી રહ્યો છે. ભાસ્કર સાથેની વાતચીતમાં શહેરના જાણાતી ડૉક્ટરે ઓળખ ગુપ્ત રાખીને કેસની વિગતો શૅર કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે શહેરના જાણીતા વિસ્તારના સંપન્ન પરિવારનો પુત્ર પ્રતિષ્ઠિત શાળામાં અભ્યાસ કરતો હતો. છઠ્ઠા ધોરણ સુધી અન્ય વિદ્યાર્થીઓની જેમ જ સ્કૂલમાં સારી રીતે ભણતો આ વિદ્યાર્થીએ સાતમા ધોરણના વેકેશન બાદ સ્કૂલે જવાનો ઈનકાર કર્યો હતો. માતા-પિતાએ સમજાવટનો પ્રયાસ કર્યો છતાં તે તૈયાર થયો નહોતો. છેવટે બાળક ડિપ્રેશનમાં સરી પડ્યો હતો. બાદમાં પરિવારજનોએ આ બાબતે શાળામાં ફરિયાદ કરી હતી પરતું થોડા દિવસ સુધી બરાબર ચાલ્યા બાદ ફરીથી જેસે થે તૈસે જેવી સ્થિતી જોવા મળી હતી. આખરે પરીવારજનોએ માત્ર 14 વર્ષની વયના બાળકનું ઓપરેશન કરવાની ફરજ પડી હતી. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ગાયનેકોમેસ્ટિઆ એક ડીસઓર્ડર છે. છેલ્લા કેટલાક સમયથી તેના કેસમાં વધારો થઈ રહ્યો છે. તથા સર્જરી માટે પણ રોજ સરેરાશ એક દર્દી લાવવામાં આવે છે. અતિશય જંકફૂડ, પોલ્ટ્રી ફૂડના કારણે અસંતુલન શક્યગાયનેકોમેસ્ટિઆ એ એવી શારીરિક સ્થિતિ છે જેમાં છોકરાઓ-પુરુષોમાં છાતીના ભાગમાં અસામાન્ય વધારો થાય છે. એસ્ટ્રોજન (સ્ત્રી હોર્મોન) અને ટેસ્ટોસ્ટેરોન (પુરુષ હોર્મોન)ના પ્રમાણમાં ફેરફારથી આ સ્થિતિ સર્જાય છે. નિષ્ણાતોના મતે પોલ્ટ્રી ફાર્મના ઇંડા, દૂધનું સેવન આ સ્થિતિ સર્જાઈ શકે છે. પોલ્ટ્રી ફાર્મની મરઘીઓ, ગાય તથા ભેંસને ઇન્જેક્શન અપાય છે. જેના તત્વો માનવશરીરમાં પ્રવેશે છે. સાથે જંકફૂડથી બાળકોમાં મેદસ્વીતામાં વધારો થાય છે. બાળકો ટી શર્ટ પહેરતા નથી, સ્વિમિંગ બંધ કરી દે છે​​​​​​​ગાયનેકોમેસ્ટિઆની સ્થિતિ ધરાવતા બાળકો સ્કૂલમાં બોડીશેમિંગનો ભોગ બને છે. જેના કારણે ઘણા બાળકો ટી શર્ટ પહેરવાનું બંધ કરી દે છે અને સ્વિમિંગ પુલમાં જવાનું બંધ કરે છે. માનસિક રીતે તૂટી જતા હોવાથી સંતાનોએ આત્મહત્યા કરવાની ધમકી આપી હોવાનો માતા-પિતાએ સ્વીકાર કરેલો છે. આ બાળકોને શાંતિથી સમજાવવાની જરૂર છે. માત્ર બાળકો જ નહીં સૈન્યમાં ભરતીની તૈયારી કરતા યુવાનો પણ આ સ્થિતિથી છૂટકારો મેળવવા માટે સારવાર લેવા આવે છે. - ડો.અર્થ શાહ, કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જન

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 5:05 am

સન્ડે બિગ સ્ટોરી:60થી વધુની વય, 3 ટર્મનો નિયમ યથાવત્ રહેશે તો 36 કોર્પોરેટરોની ટિકિટ કપાશે

ફેબ્રુઆરી-2026માં અમદાવાદ મ્યુનિ. ની ચૂંટણી યોજાઈ શકે છે. ગત ચૂટણી તત્કાલીન પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે લાગુ કરેલા 3 નિયમોના કારણે ભાજપને કોર્પોરેશનમાં 192માંથી 159 બેઠકો પર ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. 60 વર્ષથી વધુ વયના ઉમેદવાર કે સતત ત્રણ ટર્મ સુધી ચૂંટણી લડેલા કૉર્પોરેટરને ટિકિટ ન આપવી અને પરિવારવાદ પર પ્રતિબંધ મૂકવાનો નિયમ લાગુ કરાયો હતો. જૂનો યથાવત્ રહે તો વર્તમાન કોર્પોરેટરો પૈકી 60 વર્ષ કરતા મોટી ઉંમરના 19 અને 3 ટર્મ ચૂંટણી લડેલા 13 કોર્પોરેટરોની ટિકિટ કપાશે. તેમણે અત્યારથી લોબિંગ શરૂ કરી દીધું છે. નવા ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા 2020ના નિયમો યથાવત્ રાખશે કે નહીં તે ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપે કોર્પોરેટરોની ચાલચલગતનો આંતરિક આઈબી રિપોર્ટ તૈયાર કરાવ્યો છે. જેમાં પાંચ વર્ષમાં ગેરરીતિ અથવા ભ્રષ્ટાચાર કર્યો હોય તેવા કોર્પોરેટરો, મહિલા કૉર્પોરેટરના પતિઓ કોન્ટ્રાક્ટર હોય કે, મ્યુનિ. ટેન્ડરમાં સંકળાયેલા હોય, નિષ્ક્રિય રહેલ નગરસેવકો, ગુનાઈત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કોર્પોરેટરોની યાદી તૈયાર કરવામાં આવી છે. અમદાવાદમાં ટિકિટ વિતરણ માટે મુખ્યત્વે 10 સત્તા કેન્દ્રો છે જેમાં કેન્દ્રીય નેતૃત્વ, મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, સાંસદ, મંત્રી, પૂર્વ શહેર પ્રમુખ, પ્રદેશ હોદ્દેદારો, પ્રભારી મંત્રી, વિવિધ સંગઠનો કે ધાર્મિક સંસ્થાઓ અને સ્થાનિક ધારાસભ્યો જેવા સત્તા કેન્દ્રો પોતાના ઉમેદવારને ટિકિટ અપાવવા દબાણ કરતા હોય છે. ‘ગોડફાધર’ વિનાનાં કૉર્પોરેટરોની ટિકિટ કપાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. પરિવારવાદ નાબૂદીની વાતો વચ્ચે પણ ભાજપે પરિવારના સભ્યોને ટિકિટ આપી હતી 60 વર્ષ કરતા મોટી ઉંમર અને ત્રણ ટર્મ ચૂંટણી લડેલા કોર્પોરેટરોના પત્તા કપાશે​​​ રોસ્ટર બદલાતા કેટલાક કોર્પોરેટરો આપોઆપ બહાર થયા48 વોર્ડમાં રોસ્ટર બદલાતા અનામત બેઠકો 118થી વધી 133 થઈ છે જેના કારણે કેટલાક કૉર્પોરેટરો આપોઆપ સ્પર્ધામાંથી બહાર થયા છે. કોર્પોરેટરો વોર્ડ બદલવા અધીરા થયા છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 5:00 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:કાશ્મીરમાં થયું દિલ્હી બ્લાસ્ટનું પ્લાનિંગ; બિહારમાં સમ્રાટ ચૌધરી ગૃહમંત્રી બનતાં જ એન્કાઉન્ટર, MPમાં ભારે ઠંડીથી 2નાં મોત

નમસ્તે, કાલના મોટા સમાચારો જોઈએ તો દિલ્હી લાલ કિલ્લા પાસે થયેલા બોમ્બ બ્લાસ્ટનો પ્લાન કાશ્મીરમાં ઘડાયો હોવાનો ઘટસ્ફોટ થયો છે. બિહારમાં ભાજપના સમ્રાટ ચૌધરી ગૃહમંત્રી બનતાં જ જંગલરાજનો સફાયો શરૂ થયો છે અને બેગુસરાઈમાં એન્કાઉન્ટર થયું છે. મધ્યપ્રદેશમાં ભારે ઠંડીથી બેનાં મોત થયાં છે તો બદરીનાથમાં બરફવર્ષાના કારણે ઠેરઠેર બરફ જામી ગયો છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બીઆર ગવઈ નિવૃત્ત થશે. 2. પીએમ મોદી G20 સમિટમાં ભાષણ આપશે અને IBSA બેઠકમાં પણ હાજરી આપશે. કાલના મોટા સમાચારો 1. કાશ્મીરની મસ્જિદમાં દિલ્હી ઉડાવવાનો પ્લાન બન્યો:સુસાઇડ બોમ્બિંગ, હમાસ સ્ટાઇલ ડ્રોન એટેક; 200 IEDથી રાજધાનીમાં તબાહી કરવાના હતા 10 નવેમ્બરના દિલ્હી બોમ્બ વિસ્ફોટોની તપાસ હવે ફરીદાબાદના એક વ્હાઇટ કોલર આતંકવાદી મોડ્યુલના કાવતરાનો સંપૂર્ણ ખુલાસો કરી રહી છે. એજન્સીઓ અનુસાર, આ મોડ્યુલનું આયોજન અત્યંત ખતરનાક હતું. NIAએ વિસ્ફોટો પાછળના સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો છે, જે કાશ્મીરમાં શરૂ થયો હતો, અલ-ફલાહ યુનિવર્સિટી અને નૂહ થઈને દિલ્હી પહોંચ્યો હતો. તપાસ ટીમે આ મોડ્યુલના સંપર્કમાં આવેલા 1,000થી વધુ લોકોની પૂછપરછ કરી. આમાંથી જાણવા મળ્યું કે આ મોડ્યુલની આત્મઘાતી બોમ્બરો તૈયાર કરવા, ડ્રોન હુમલા કરવા અને લોન વુલ્ફ હુમલાઓ માટેની જવાબદારી હતી. આનો અર્થ એ થયો કે એક જ નેટવર્ક વિવિધ હુમલાઓનું આયોજન કરી રહ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 2. સમ્રાટના ગૃહમંત્રી બનતા જ એક્શન શરૂ, બેગૂસરાયમાં એન્કાઉન્ટર: હત્યાના આરોપીને બિહાર પોલીસે ગોળી મારી, STF પર ફાયરિંગ કરી રહ્યો હતો બિહારમાં નવી સરકાર બનતાની સાથે જ પોલીસ ગુનેગારો સામે કાર્યવાહીમાં લાગી ગઈ છે. શુક્રવારે રાત્રે બેગુસરાયમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને જિલ્લા પોલીસ વચ્ચેના સંયુક્ત ઓપરેશન દરમિયાન એન્કાઉન્ટર થયું. આ ઘટનામાં એક કુખ્યાત ગુનેગાર ઘાયલ થયો હતો. તેના પર સરપંચના પુત્રની હત્યા કરવાનો આરોપ છે. આ ઘટના સાહેબપુર કમલ પોલીસ સ્ટેશન વિસ્તારના શાલીગ્રામ અને માલ્હીપુર ગામની નજીક બની હતી. ઘાયલ ગુનેગાર શિવદત્ત રાય (ઉં.વ.27) છે, જે તેઘરા પોલીસ સ્ટેશન વિસ્તારના બનહરા ગામના રહેવાસી રાજકિશોર રાયનો પુત્ર છે. પોલીસે ઘટનાસ્થળેથી મોટી માત્રામાં હથિયારો અને રોકડ રકમ પણ જપ્ત કરી છે. ઘાયલ વ્યક્તિ બેગુસરાયની સિવિલ હોસ્પિટલમાં પોલીસ કસ્ટડીમાં સારવાર હેઠળ છે. પોલીસ હજુ સુધી તેની સ્થિતિ જાહેર કરી રહી નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 3. G20માં મોદી-મેલોનીએ હસી-હસીને વાત કરી:બ્રાઝિલના રાષ્ટ્રપતિને ભેટ્યા, મોદીએ કહ્યું- G20ના જૂના ડેવલપમેન્ટ મોડેલને બદલવાની જરૂર પીએમ મોદીએ શનિવારે જોહાનિસબર્ગમાં G20 સમિટમાં ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને વિશ્વ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. મોદી મુલાકાત દરમિયાન બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાને ભેટી પડ્યા. ત્યારબાદ મોદીએ સમિટના પહેલા સત્રમાં ભાષણ આપ્યું, જેમાં વૈશ્વિક પડકારો પર ભારતના દ્રષ્ટિકોણને રજૂ કર્યો. મોદીએ વૈશ્વિક વિકાસના જૂના ધોરણો પર પુનર્વિચાર કરવાની હાકલ કરી. તેમણે કહ્યું: G20એ વિશ્વ અર્થતંત્રને આકાર આપ્યો હશે, પરંતુ આજના વિકાસ મોડેલે મોટી વસ્તીને સંસાધનોથી વંચિત રાખી છે અને પ્રકૃતિના વધુ પડતા શોષણને વેગ આપ્યો છે. આફ્રિકન દેશો પર તેની અસર ખાસ કરીને સૌથી વધુ દેખાય છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. દિલ્હી: ISI કનેક્શનવાળાં હથિયારોની દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ:પાકિસ્તાનથી ડ્રોન દ્વારા હથિયારો મગાવતા; લોરેન્સ અને ગોગી જેવા ગેંગસ્ટરોને સપ્લાય કરતા હતા દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે શનિવારે ISI કનેક્શન ધરાવતા એક મોટા ઈન્ટરનેશનલ હથિયારોની દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે તેમણે ગેંગ સાથે સંકળાયેલા ચાર દાણચોરની ધરપકડ કરી છે, જેઓ ડ્રોન દ્વારા પાકિસ્તાનથી હાઇ-ટેક હથિયારો મગાવતા હતા અને લોરેન્સ-ગોગી જેવા ગેંગસ્ટરોને સપ્લાય કરતા હતા. ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, તેમને માહિતી મળી હતી કે કેટલાક દાણચોરો દિલ્હીમાં હથિયારો સપ્લાય કરવાનો પ્લાન કરી રહ્યા છે. ત્યાર બાદ રોહિણી વિસ્તારમાં છટકું ગોઠવીને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી તુર્કી અને ચીનમાં બનેલી 10 હાઇ-ટેક પિસ્તોલ અને 92 જીવતી કારતૂસ જપ્ત કરી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 5. MPમાં ઠંડીથી 2 લોકોના મોત, 7 જિલ્લામાં કોલ્ડવેવ:બદ્રીનાથમાં બરફવર્ષા, ઉત્તરાખંડમાં તળાવ થીજી ગયું; રાજસ્થાનમાં ધુમ્મસ, ઠંડીથી થોડી રાહત ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધી છે. મધ્યપ્રદેશમાં છેલ્લા બે દિવસમાં ઠંડીથી બે લોકોના મોત થયા છે. શુક્રવારે ભોપાલ અને ઇન્દોર સહિત સાત જિલ્લાઓમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. પહેલીવાર પચમઢીમાં તાપમાન 5.8 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. નર્મદાપુરમમાં વિઝિબિલિટી 500 મીટર નોંધાઈ હતી. રાજસ્થાનમાં, શિયાળાના પવન ફૂંકાતા ઉત્તર-પશ્ચિમી પવનોને કારણે ધુમ્મસ છવાઈ રહ્યું છે. તેના પરિણામે દિવસ દરમિયાન અન્ય દિવસોની તુલનામાં હળવો સૂર્યપ્રકાશ રહે છે. લઘુત્તમ તાપમાનમાં પણ 1 ડિગ્રીનો વધારો થયો છે, જે ઘણા શહેરોમાં એકથી બે અંક સુધી પહોંચી ગયું છે. આગામી બે અઠવાડિયા સુધી તાપમાન ઘટશે નહીં. વાંચો સંપૂર્ણ સમાચાર 6. નલિયા 10.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુ:બે દિવસમાં 2થી 3 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા; સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ હવામાન વિભાગ ગઈકાલે રાજ્યના મોટાભાગના શહેરોમાં રાત્રિના અને વહેલી સવારના તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, એટલે કે ઠંડીમાં વધારો થયો છે. સૌથી ઓછું ન્યૂનતમ તાપમાન નલિયા ખાતે 10.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ત્યારબાદ વડોદરા જ્યાં ન્યૂનતમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 16.3 ડિગ્રી સેલ્સિયસ અને પોરબંદરમાં 15.6 ડિગ્રી સેલ્સિયસ અને રાજકોટ 14.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 7. અમદાવાદમાં PIએ 19 વર્ષીય યુવતી સાથે અડપલાં કર્યાં:લિફ્ટ બંધ થતાં જ ખભા પર હાથ મૂક્યો; પોલીસકર્મીનાં કરતૂતથી ગભરાઈ 181ને જાણ કરી, FIR નોંધાઈ અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર બરકતઅલી ચાવડા સામે છેડતીની ફરિયાદ નોંધાઈ છે. PI ચાવડાએ વિશાલા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટની લિફટમાં યુવતીના ખભે હાથ મૂકી શારીરિક અડપલાં કર્યાં હોવાનો યુવતીએ આક્ષેપ કર્યો છે. વેજલપુર પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. PI હાલમાં ગાંધીનગર કંટ્રોલરૂમમાં ફરજ બજાવે છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : રણવીર સિંહે ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર-ગર્લફ્રેન્ડને નચાવ્યા:કૃતિ સેનનના પર્ફોર્મન્સ પર મહેમાનો ડાન્સ કરવા મજબૂર બન્યા; ઉદયપુરમાં સેલેબ્સનો જમાવડો વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : મીડિયાએ મમદાનીને પૂછ્યું, ટ્રમ્પને તાનાશાહ માનો છો?:અમેરિકી રાષ્ટ્રપતિ વચ્ચે ટોકતાં મજાકિયા અંદાજમાં બોલ્યા, કોઈ વાંધો નહીં, હા કહી દો, મને ફરક નથી પડતો વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : તિરુપતિ લાડુ વિવાદ: ભેળસેળવાળા ઘીમાંથી 20 કરોડ લાડુ બનાવાયા:5 વર્ષમાં 68 લાખ કિલો ઘીનો ઉપયોગ થયો, SITએ પૂર્વ ચેરમેનની 8 કલાક પૂછપરછ કરી વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : તેજસ જેટ ક્રેશ થયાનો સૌથી નજીકનો VIDEO:પાકિસ્તાની મીડિયાએ લખ્યું, ફ્યૂઅલ લીકના સમાચાર હતા; તેજસ ક્રેશ પર વિશ્વભરનાં મીડિયાએ શું લખ્યું? વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : આ સપ્તાહે સોના-ચાંદીમાં ઘટાડો નોંધાયો:સોનું ₹1,648 ઘટીને ₹1.23 લાખ પર આવ્યું, ચાંદીનું ₹1.51 લાખ પ્રતિ કિલોના ભાવે વેણાણ વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : પહેલા દિવસે સ્પિન જાળમાં ફસાયું સા. આફ્રિકા:કુલદીપ યાદવે 3 વિકેટ તો જડ્ડુએ એક સફળતા મેળવી; આફ્રિકન ટીમનો સ્કોર 247/6 વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : 25મી નવેમ્બરે વિવાહપંચમી:તુલસીદાસે આ તિથિએ શ્રી રામચરિત માનસ ગ્રંથ પૂર્ણ કર્યો હતો; જાણો આ તિથિનું મહત્ત્વ અને પૂજાવિધિ વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન ખબર હટકે મહિલાએ ટ્રેનમાં ઈલેક્ટિક કીટલીમાં નૂડલ્સ બનાવ્યાં ટ્રેનના એસી કોચમાં એક મહિલાએ ઇલેક્ટ્રિક કીટલીનો ઉપયોગ કરીને 10-15 લોકો માટે નૂડલ્સ અને ચા બનાવી હતી. આ વીડિયો વાયરલ થયા બાદ લોકોએ સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સેન્ટ્રલ રેલવે સીસીટીવી ફૂટેજ અને મુસાફરીની વિગતોનો ઉપયોગ કરીને મહિલાની શોધ કરી રહી છે. રેલવેએ તેને મુસાફરોના જીવન માટે ખતરો ગણાવ્યો હતો અને કાર્યવાહી કરવાની વાત કરી છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. એક્સક્લૂસિવ : બે સગીરે ISISને 'ઓપરેશન સિંદૂર'નો મેપ મોકલ્યો:તેઓ હથિયાર ઉઠાવવા માટે પણ તૈયાર હતા, પાકિસ્તાની હેન્ડલર પાસેથી ડાર્ક-વેબની ટ્રેનિંગ લીધી 2. ભાસ્કર એક્સક્લૂસિવ : અનામત આંદોલનના 10 વર્ષે પાટીદારોએ જ્ઞાતિના નામે બાંયો ચડાવી:પનારાએ કહ્યું, વ્યાજે રૂપિયા આપી પટેલોને જુગાર રમાડાય છે, ચૂંટણીમાં અનામત માગવા પાછળનો તર્ક શું? 3. લક્ષાધિપતિ-6 : અમદાવાદનો પહેલો 'નગરશેઠ' પરિવાર:લાલભાઈ ગ્રુપ ટેક્સટાઇલ કિંગ બન્યું ને કસ્તૂરભાઈને કારણે IIM-A બની, ટાગોર ને નહેરુ સંબંધી થાય, ચોથી પેઢી આજે શું કરે છે? 4. ગ્રાઉન્ડ રિપોર્ટ : નવીનક્કોર એમ્બ્યુલન્સમાં આગ કેવી રીતે લાગી?:ધાર્યું તો ભગવાનનું જ થાય; બે સંતાનનાં મૃત્યુ થયાં, ત્રીજી દીકરી અવતરી તે પણ એમ્બ્યુલન્સમાં સળગી ગઈ 5. હેલ્ધી બનાવનારો શિયાળો માંદા પાડે તો?:ઠંડી 10 રોગનું જોખમ વધારે છે; ઇમ્યુનિટી વધારવા આ 7 વસ્તુ ખાવી; સ્વસ્થ રહેવા ડોક્ટર આપે છે મહત્ત્વની 15 ટિપ્સ 6. આજનું એક્સપ્લેનર:13 કિમી સુધી ફેલાયો સેમેરુ જ્વાળામુખીનો લાવા; ધરતીના પેટાળમાં એવું શું છે કે લોખંડ અને પથ્થર પણ પીગળીને ફાટી પડે છે 7. OLA-UBER તમને કેવી રીતે છેતરે છે?:90% લોકો ફસાયાનો ખુલાસો, ડ્રાઇવર રાઇડ કેન્સલ કરવાનું કહે તો? લૂંટાતાં બચવા 5 વાત જાણો 8. 'આંબેડકર ન તો દલિત, ન તો તેમણે બંધારણ બનાવ્યું':બાબા સાહેબને બ્રિટિશ એજન્ટ કહેનારા એડવોકેટ અનિલ મિશ્રા કોણ છે? કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ:તુલા રાશિના લોકોને કોઈ નવું કામ શરૂ થવાની સંભાવના; વૃશ્ચિક જાતકોને આરોગ્ય પ્રત્યે બેદરકારી મોંઘી પડી શકે છે (સંપૂર્ણ રાશિફળ વાંચો)

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 5:00 am

કોંગ્રેસની કારોબારી બેઠક:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી માટે કોંગ્રેસના કાર્યકરોને હાકલ કરાઈ

ભુજમાં યોજાયેલી જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી માટે કામે લાગી જવા કાર્યકરોને હાકલ કરાઇ હતી. બેઠકના અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા પ્રમુખ વી.કે. હુંબલે જણાવ્યું હતું કે કચ્છ જિલ્લો અંતરીયાળ છે ત્યારે પક્ષના હોદેદારો, કાર્યકરોએ સરકારના BLO સાથે રહી મતદારો સુધી પહોચી ફોર્મ ભરાવવા જરૂરી છે. બેનર,પોસ્ટર બુથો ઉપર કેમ્પ, સોસીયલ મીડિયા પર પ્રચાર સાથે મતદારોને જાગૃત કરી મતદાર યાદી સુધારણા કામગીરી પૂરી કરાવવા કાર્યકરોને જણાવ્યું હતું. સંગઠન ગ્રામ સમિતિ, બુથ સમિતિ પર 5 લોકોની નિમણુંક કરાઇ હતી. નર્મદાના પાણી, ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ, રોડ-રસ્તા, શિક્ષણ, આરોગ્ય, ખેડૂતો, માલધારી, મહિલાઓ, બેરોજગાર યુવાનોના મુદ્દે આંદોલન ચલાવી સરકારને જગાડવા કાર્યકરોને આહ્વાન કર્યું હતું. રામદેવસિંહ જાડેજા, ભીખાભાઈ રબારી, પુષ્પાબેન સોલંકી, અરવિંદભાઈ ગઢવી, રાજેશ ત્રિવેદી, વિશનજી પટેલ, ગની કુંભાર, ડો.રમેશ ગરવા, અલ્પેશ ચંદે, ખેરાજ ગઢવી, એચ.એસ.આહીર, રાણુંભા જાડેજા, પન્નાભાઈ રબારી, ઉમર સમા, હરિસિંહ રાઠોડ, પ્રેમસંગભાઈ સોઢા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન મહામંત્રી પી.સી. ગઢવીએ, આભાર વિધિ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવીએ કરી હતી તેમ પ્રવક્તા હુસેન રાયમાનીમાં જણાવાયું હતું.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:59 am

જીએમડીસી એમડીને રજૂઆત:લખપતમાં લિગ્નાઇટ પ્રોજેક્ટના CSR ફંડમાં દુરુપયોગનો મુદ્દો ગરમાયો

ભુજ | કચ્છ જિલ્લા પંચાયત સભ્ય મીનાબા દેસુભા જાડેજાએ લખપત તાલુકા જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટ દ્વારા ફાળવાતા CSR ફંડના પારદર્શક ઉપયોગ અંગે જીએમડીસીના એમડી અને રાજ્યના મુખ્ય સચિવને રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે જીએમડીસી દ્વારા આજુબાજુ ગામોના વિકાસ માટે દર વર્ષે લાખોનું CSR ફંડ ફાળવવામાં આવે છે, પરંતુ આ ફંડનો ઉપયોગ ગેરરીતિઓ સાથે થતો હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. મીનાબાના જણાવ્યા અનુસાર સફાઈ અભિયાન, પશુધન માટે ઘાસચારો, સ્ટોક ગોડાઉન, પાણી સંગ્રહ જેવી અનેક યોજનાઓ બનાવીને ચોક્કસ આગેવાનો અને એજન્સીઓ સાથે મળીને મોટે પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. ગામોના કામોમાં જીએમડીસી સ્ટાફની હાજરી ન હોવાને કારણે દેખરેખનો સંપૂર્ણ અભાવ છે. CSR અંતર્ગત 1 લાખથી 20 લાખ સુધીના કામો માટે કોઈપણ જાહેરનામું કે ટેન્ડર જાહેર કરાતું નથી. મીનાબાએ આક્ષેપ કર્યો કે આ રકમનો મોટો ભાગ અધિકારીઓ અને આગેવાનો પોતાના હિત માટે વાપરતા હોવાની શંકા છે. આ ભ્રષ્ટાચારને રોકવા માટે મીનાબાએ ટેન્ડર પ્રક્રિયાને સંપૂર્ણપણે ઓનલાઇન કરવાની, તેમજ તમામ CSR કાર્યોમાં જીએમડીસીના જવાબદાર સ્ટાફની ફરજિયાત હાજરી સુનિશ્ચિત કરવાની માંગણી કરી છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:58 am

કારને નુકસાન:માધાપરમાં વિકૃત માનસિકતા ધરાવતા રહીશો દ્વારા કારને નુકસાન પહોંચાડાયું

માનસિક વિકૃતિઓના વર્તમાન સમયમાં અનેક દાખલાઓ સામે આવે છે. ભુજ નજીક માધાપર ગામના નવાવાસમાં રહેતી સમજુ અને શિસ્તબધ્ધ પ્રજા વચ્ચે પણ માનસિક વિકૃતિના બનાવો બન્યા છે. થોડા સમય પહેલા કોઈ રહેવાસીની ગાડીના કાચ તોડવામાં આવ્યા હતા તો બે દિવસ અગાઉ એક વેપારીના ઘર પાસે પાર્ક કરેલી મારૂતિ XL–6 ગાડી પર ઓઇલ પેન્ટ ઢોળવામાં આવ્યો હતો અને કારની સાઈડની બોડી પર લખાણ લખવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ ઘર પાસે કોઈને નડતરરૂપ ન થાય તેમજ પાણીનું વહેણ છે તે શેરીમાં, જ્યાંથી વાહનો પણ પસાર નથી થતા ત્યાં રાખવામાં આવેલી કાર પર કરવામાં આવેલું આ કૃત્ય પર ખરેખર રોક લાગવી જોઈએ. ગામના સામાજિક આગ્રણી, રાજકીય આગેવાનો કે સરપંચ સહિતનાઓ આ ઘટનાને ગંભીરતાથી લઈને આવી વિકૃત માનસિકતા ધરાવતા લોકોને પાઠ ભણાવવો જોઈએ.-ભાસ્કર

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:56 am

ખાતમુહૂર્ત:આજે ભુજમાં મુખ્યમંત્રીના હસ્તે 50૩ કરોડના વિકાસ કામોની અપાશે ભેટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છ જિલ્લાની મુલકાતે છે, પ્રથમ સવારે 9 કલાકે ગાંધીધામમાં 176 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. ત્યાર બાદ બપોરે 11:30 કલાકે ભુજની લાલન કોલેજ ગ્રાઉન્ડ ખાતે 50૩.88 કરોડના વિકાસ કામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરશે. આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સમાં રોડ, બ્રિજ, સિંચાઈ અને શૈક્ષણિક કામોનો સમાવેશ થાય છે. માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) 28 કામોનું ખાતમુહૂર્ત થશે, જેની કુલ રકમ 393.39 કરોડ છે. આમાં ભુજ રીંગ રોડના વિવિધ ભાગોનું રીસરફેસીંગ અને સ્ટ્રેન્ધનીંગ, તેમજ ભુજ બાયપાસ અને નખત્રાણા બાયપાસના કામોનો સમાવેશ થાય છે. માંડવીમાં લાયજા - બાડા રોડ (કોસ્ટલ હાઇવે) પર 35 કરોડના ખર્ચે બે મોટા બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.જયારે જી.એસ.આર.ડી.સીના 62.22 કરોડના ખર્ચે ભુજ-મુન્દ્રા રોડ અને ભુજ-નખત્રાણા રોડના રીસર્ફેસીંગ સહિતના 2 કામોનું ખાતમુહૂર્ત થશે. સિંચાઈ વિભાગના 6.૦6 કરોડના ખર્ચે 14 નવા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. મુખ્યમંત્રીના હસ્તે 5.79 કરોડના ૩ કામોનું લોકાર્પણ થશે. તેમાં લખપત ખાતે ૩.19 કરોડની નવી સરકારી માધ્યમિક શાળા અને પશ્ચિમ વન વિભાગના 2.60 કરોડના બે કામો જેમાં કચ્છી હાટ /ભૂંગા યુનિટ અને મેન્ગ્રોવ લર્નિંગ સેન્ટર સામેલ છે. પ્રવાસન અને પંચાયત વિભાગ અંતર્ગત 9.90 કરોડના ખર્ચે ભુજમાં રોડના કામનું ખાતમુહૂર્ત થશે, જ્યારે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા 25.52 કરોડના 7 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ દરમિયાન શનિવારે રાત્રે મખ્યમંત્રીએ સોશિયલ મિડીયા પર જણાવ્યું હતું કે કચ્છમાં વિકાસની નવ ઉર્જા ભરવાની સાથોસથ કચ્છી માડુઓ સાથે વાતચીતનો અવસર મળશે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:55 am

આંતરરાષ્ટ્રીય પરિષદનું સમાપન:શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગ અને સરકાર વચ્ચેનો સહકાર પ્રદેશની પ્રગતિ લાવી શકે છે

કચ્છ યુનિવર્સિટી ખાતે ઈન્ડિયન ઈકોનોમિક્સ એન્ડ એલાઈડ સાયન્સિસ એસોસિએશનની 6મી વાર્ષિક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ઉચ્ચસ્તરીય પેનલ ચર્ચા અને વેલેડિક્ટરી સમારોહ સાથે પૂર્ણ થઈ હતી. કચ્છ ઈકોનોમી અને વિકસિત ભારત @ 2047 વિષયક પેનલ ચર્ચાનું અધ્યક્ષ સ્થાન મનોજ સોલંકીએ સંભાળ્યું, જ્યારે ડૉ. કનિષ્ક શાહે સંચાલન અને ડૉ. રૂપલ દેસાઈએ રેપોર્ટર તરીકે કામગીરી કરી. પેનલ સભ્યો ડૉ. વિજય કુમાર, ચૈતન્ય શ્રોફ, વેલજીભાઈ ભુડિયા અને મેઘજીભાઈ હિરાણીએ કૃષિ, ઉદ્યોગ અને ખનન ક્ષેત્રોના ઝડપી વિકાસને કચ્છની આર્થિક શક્તિ તેમજ વિકસિત ભારતના સ્તંભ તરીકે રજૂ કર્યા. IEASAના સચિવ પ્રો. આલોક કુમારના અભિપ્રાયોથી થઈ, જેમાં તેમણે કૃત્રિમ બુદ્ધિ (AI) જેવી ઉભતી ટેક્નોલોજીમાં નૈતિક શાસન, માનવીય મૂલ્યો, સહાનુભૂતિ અને માનવીય સંબંધોની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉદ્દેશિત કરી. મુખ્ય અતિથી દીપક વોરાએ વાસ્તવિક સમયના ડેટાના આધારે નીતિ-નિર્ણય અને વિકાસના માળખાની અસરકારકતા સમજાવી. તેમણે યુવા, મહિલા, ખેડૂતો અને વંચિત વર્ગોને ભારતના સામાજિક આર્થિક સશક્તિકરણના ચાર મુખ્ય આધારસ્તંભ તરીકે રજૂ કર્યા અને જણાવ્યું કે ભારત હાલમાં ઐતિહાસિક વળાંક પર છે જ્યાં શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગ અને સરકાર વચ્ચેનું સહકાર અભૂતપૂર્વ પ્રગતિ લાવી શકે છે.વિશિષ્ટ અતિથી અદાણી ફાઉન્ડેશનના વસંત ગઢવીએ સર્જનાત્મકતા, કૌશલ્ય વિકાસ, સ્થિરતા અને પ્રબુદ્ધ આર્થિક આયોજનને ભારતના આગલા બે દાયકાના વિકાસના મુખ્ય સ્તંભ જણાવ્યા. સાથે, તેમણે શ્યામજી કૃષ્ણવર્માની યાદ અપાવી અને આત્મનિર્ભરતા, દૃઢ ઇચ્છાશક્તિ અને રાષ્ટ્રીય ગૌરવને ભારતના આધુનિક વિકાસમાં માર્ગદર્શક તત્વો ગણાવ્યા. IEASA ના સ્થાપક પ્રમુખ ડૉ. ગિરિરાજસિંહ રાણાએ વિદ્વાનોની ઉલ્લેખનીય ભાગીદારીથી સંતોષ વ્યક્ત કર્યો. કોન્ફરન્સ કન્વીનર પ્રો. વિજય વ્યાસે સહકારની પ્રશંસા કરી. IEASA સચિવ પ્રો. આલોક કુમારે આર્થિક સુધારા, સસ્ટેઇનેબલ ઉદ્યોગ વિકાસ, ટેકનોલોજીકલ ઈનોવેશન, સ્કિલ ડેવલપમેન્ટ, આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને સર્વસમાવેશક વૃદ્ધિ જેવા મુદ્દાઓ આવરી લેતા કોન્ફરન્સના મુખ્ય સંશોધન-આધારિત નિષ્કર્ષોનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:54 am

ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:નરોડા અંડરબ્રિજ: વાહનોની અડફેટથી બચવા માટે રોજ 2500 વિદ્યાર્થી પાતળી યલો લાઇન પર પસાર થાય છે, કારણ કે નિયમાનુસાર વૉક-વે નથી

ચિંતન રાવલ | અમદાવાદ :અંડરબ્રિજનું નિર્માણ કરવામાં આવે ત્યારે પગપાળા જતા લોકોની સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવે એવા નિયમનો નરોડા-ગેલેક્સી અંડરબ્રિજમાં છેદ ઉડાવી દેવાયો છે. આ અંડરબ્રિજ નજીક આવેલી આઈ.ટી.આઈ. (ઔદ્યોગિક તાલીમ સંસ્થા) માં અભ્યાસ કરતા 2500થી વધુ વિદ્યાર્થીઓ રોજ જીવના જોખમે શિક્ષણ મેળવવા મજબૂર છે. વિદ્યાર્થીઓને સંસ્થામાં આવવા-જવા માટે ટ્રાફિકથી ધમધમતા અંડરબ્રિજની અંદરથી પગપાળા પસાર થવું પડે છે, જે ગંભીર અકસ્માતને આમંત્રણ આપે તેવી સ્થિતિ ઉભી થાય છે. આઈટીઆઈના પ્રિન્સિપાલે જણાવ્યું કે ‘અંડરબ્રિજમાંથી વિદ્યાર્થીઓને આવવું પડે છે.જેની તંત્રને રજૂઆત કરી છે અને વહેલી તકે વોક-વે બ્રિજ બનાવી આપવાની માગ કરી છે. એક વિદ્યાર્થીએ જણાવ્યું હતુ કે, નરોડા ગેલેક્સીથી આઈટીઆઈ સુધી પહોંચવા માટે અંડરબ્રિજનો ઉપયોગ કરવા સિવાય વિકલ્પ નથી. અહીં વાહનોની ભારે અવરજવર હોય છે અને ચાલવા માટે પૂરતી જગ્યા નથી.’ અંડરબ્રિજમાં માત્ર 50 મીટરનું ડિવાઇડર છે, જેના કારણે ગાડીઓ ટક્કર મારશે તેનો સતત ડર રહે છે. થોડા દિવસો પહેલા જ મારા એક યુવકને બાઇક ચાલકે ટક્કર મારી હતી.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:54 am

રજૂઆત:મહિલા બીએલઓને મોડી રાત્રે ફોન કરી કરાય છે અભદ્ર ભાષાનો ઉપયોગ

SIR કામગીરીમાં પ્રાથમિક શિક્ષકો પર વધતા દબાણને કારણે પરિસ્થિતિ ગંભીર બની રહી છે. ફોર્મ પર BLOના મોબાઇલ નંબર છપાયેલા હોવાથી મોડી રાત્રે અમુક લોકો દ્વારા ફોન કરીને અભદ્ર ભાષામાં વાત કરવામાં આવતી હોવાની ઘટનાઓ પણ વધી રહી છે. આ અંગે થોડા દિવસો પહેલા શિક્ષકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ઊગ્ર રજૂઆત કરી હતી. છતાં પરિસ્થિતિ સુધરી નથી. આ મામલામાં હવે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગાંધીનગર કક્ષાએ રજૂઆત કરી છે. આ કામગીરી દરમ્યાન મૃત્યુ પામેલા શિક્ષકોના પરિવારોને 1 કરોડની સહાય આપવાની માંગ કરવામાં આવી છે સાથે સર્વર અપડેટ, નોટીસો પાછી ખેંચવાની માગણીઓ સામેલ છે. SIR માં પ્રાથમિક શિક્ષકો જ BLO તરીકે ફરજ બજાવી રહ્યા છે, જેને કારણે તેમને તંત્ર તરફથી સતત દબાણ, માનસિક ત્રાસ અને રાત્રે મોડા સુધી કામગીરી કરવાની ફરજ પડે છે. આ તણાવને પગલે સાબરકાંઠા, ગીરસોમનાથ અને વડોદરા જિલ્લાના ત્રણ BLOએ જીવ ગુમાવ્યો હોવાનો મુદ્દો ઉગ્ર બની રહ્યો છે. એકસાથે સમગ્ર રાજ્યમાં કામ ચાલતા સર્વર ધીમું રહે છે, જ્યારે વારંવારની મિટિંગો તથા અન્ય કર્મચારીઓના અભાવથી BLO પર વધારાનો ભાર પડે છે. આ પરિસ્થિતિ અંગે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી જૈમિન પટેલે મુખ્ય ચૂંટણી અધિકારી હારિત શુક્લા સાથે મુલાકાત કરી રજૂઆત કરી છે. જેમાં એકથી વધુ લોગિનની સુવિધા, રાત્રે મોડું કામ ન કરાવવું, ટેકનિકલ રીતે સક્ષમ અન્ય સ્ટાફ ની માંગ કરવામાં આવી છે. કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજાએ તમામ BLOને ખોટા દબાણથી અજંપો ન માનવા અપીલ કરી સંઘ તેમનાં પક્ષે ઉભું હોવાનું જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:52 am

સન્ડે બિગસ્ટોરી:ટ્રાફિક : હવે એરપોર્ટ રીંગ રોડ પર દરરોજનો માથાનો દુખાવો

ઔદ્યોગિક વિકાસ, નમકનું પરિવહન, સોલાર પ્રોજેક્ટ, ખનીજ ઉત્ખનનમાં અનેક ઘણો વધારો થતા ભારે વાહનોની અવરજવર સમગ્ર કચ્છમાં વધી છે. અંજાર અને ગાંધીધામના બાયપાસ બની ગયા અને ઓવરબ્રિજ પણ ખુલ્લા મુકાતા શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટયું છે. પરંતુ જિલ્લા મથક ભુજ એકમાત્ર એવું શહેર રહ્યું છે કે જેનો ધરતીકંપ બાદ બનેલો જુનો બાયપાસ મધ્યમાં આવી જતા નળ સર્કલથી ભુજ તરફ ભારે વાહનોને પ્રવેશ બંધી કરાતા હવે એરપોર્ટ રીંગ રોડ પર ટ્રાફિક બેફામ બન્યો છે. એક વિસ્તારની સમસ્યા ઉકેલાઈ તો બીજા રોડ પર સમસ્યા સર્જાઈ છે. છેલ્લા બે વર્ષથી સતત લોકોની માગ, અકસ્માતમાં મૃત્યુના થતા બનાવો તેમજ દૈનિક 5000 થી વધુ નાના વાહનોથી પસાર થતા લોકોને એરોપ્લેન સર્કલથી મુક્તજીવન સર્કલ, આરટીઓ સર્કલ થઈને નળ સર્કલ સુધીનો ભારે વાહનોનું પ્રવેશ બંધ કરાયો એટલે રાહત થઈ. નાગોર રેલવે ઓવરબ્રિજ સંપૂર્ણ થઈ જતા કલેક્ટર, પોલીસ વડા, ધારાસભ્ય સહિતની ટીમ સર્વે કરીને તે તરફ વાહનોને વાળવામાં આવ્યા. આ જાહેરનામું બહાર પડતાં ભુજ–માધાપર આવજા કરતા લોકો માટે રાહતના સમાચાર બન્યા. પરંતુ હજુ એક મહિનો માંડ થયો, ત્યાં એરપોર્ટ રિંગ રોડ આસપાસની વસાહતમાં રહેતા રહેવાસીઓમાં કચવાટ ફેલાયો છે ખાસ કરીને પ્રિન્સ રેસીડેન્સી સામેના પાંચ રસ્તા એક થાય છે ત્યાં દિવસભર વાહનોની કતાર લાગે છે. આ અંગે ટ્રાફિક શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સરવૈયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, વાહનોની સંખ્યા જ એટલી વધી ગઈ છે કે તેને સવારથી રાત્રી સુધી પોલીસ કર્મીઓ નિર્દેશ આપે તો પણ વાહનોની કતાર લાગી જાય છે. સમસ્યાનો જોકે ઉકેલ તાત્કાલિક અન્ય બાયપાસ બને કે ઓવરબ્રિજ બને તે જ છે. જો અંજાર અને ગાંધીધામમાં પણ ઓવરબ્રિજ બની શકતા હોય તો ભુજમાં શા માટે ન બને. નશાની હાલતમાં ડ્રાઈવર કોઈનો ભોગ લેશે તો જવાબદાર કોણ ?નાગોર રેલવે ઓવરબ્રિજથી પ્રિન્સ રેસીડેન્સી સામેના સર્કલ સુધી સતત પસાર થતા ભારે વાહનો જોખમી છે તેવું જણાવતા રિતેન ગોરે ઉમેર્યું કે, નશાયુક્ત હાલતમાં કોઈ ડ્રાઈવર આખો દિવસ ભુજવાસીઓ પસાર થતા હોય છે તેવા આ વિસ્તારમાં કોઈ અકસ્માત કરીને ભોગ લેશે ત્યારે જવાબદાર કોણ ? ખાસ કરીને નાના વાહન ચાલકો માટે એક જગ્યાએથી જોખમ ખસીને બીજી જગ્યાએ ઊભું થયું છે તે હકીકત છે. નેત્રમમાં ટ્રાફિકના ધસારો સ્પષ્ટ દેખાય છે ત્યારે ઉકેલ પણ તાત્કાલિક લેવો પડશે. દિવસભર ઉડતી ધૂળને કારણે શ્વસન રોગ ન થઈ જાય તેવો વેપારીઓને સતાવે છે ડરઆ વિસ્તારના વાણિજ્ય સંકુલમાં શોરૂમ ધરાવતા ચેતન પટેલ જણાવે છે કે, છેલ્લા એક મહિનામાં ભારે વાહનોનો બધો જ ટ્રાફિક આ તરફ વળતા દિવસભર ધૂળો ઉડે છે. ભારે વાહનોની કતાર લાગતા નાના મોટા વાહનો પણ અહીં ટ્રાફિક જામમાં ફસાય છે. આ દરમિયાન વાહનોમાંથી નીકળતા ધુમાડા પણ ક્યાંક શ્વસન રોગને ન નિમંત્રે તો સારું. આ વિસ્તારમાં થોડા સમય પહેલા જ શરૂ કરેલા શોરૂમ, રેસ્ટોરન્ટ સહિતના માલિકોએ જો બાયપાસ ન થાય તો કાયમી માથાનો દુખાવો બની રહેશે તેવી ચિંતા વ્યક્ત કરી હતી. દીવસભર ભારે ટ્રાફિકના કારણે ગ્રાહકો પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:51 am

ફોજદારી ફરિયાદ:લોન માટે ગિરવી મૂકેલું મકાન બેંકે માત્ર અડધી કિંમતે વેચતાં લોન ધારક કોર્ટમાં

બેંક દ્વારા લોન ધારકના મકાનને અડધી કિંમતમાં વેચી અને છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો. આ અંગે લોન ધારકે કોર્ટમાં ફોજદારી ફરિયાદ કરી દસ્તાવેજ રદ કરવાની દાદ માંગી છે. ફરિયાદીના વકીલ અમિષ દાદાવાલાએ જણાવ્યું કે, 2018માં પોતાના ધંધાના જરૂરિયાત અર્થે રાજીવ શશીકાંત ગોરાએ બેંક ઓફ બરોડાનો લોન માટે સંપર્ક કર્યો હતો. કારેલીબાગ હરીશ નગર સ્થિત આવેલું પોતાનું મકાન તારણમાં મૂકી કુલ રૂપિયા 3 કરોડની લોન લેવાની માંગણી કરેલ હતી. જે બેંક દ્વારા મકાનનું વેલ્યુએશન કરીને લોન આપવામાં આવી હતી. ત્યારબાદ કોવિડના કારણે વેપારમાં આર્થિક નુકસાન થતાં રાજીવભાઈનો વેપાર પડી ભાંગ્યો હતો અને લોન સમયસર ભરી શક્યા ન હતા. જેથી બેન્કે વસુલાત રિકવરી કરતા રાજીવભાઈએ પોતાનું મકાન 35, હરીશ નગર સોસાયટી, કારેલીબાગ સ્વેચ્છાએ અધિકારીને સુપ્રત કરી દીધું હતું. જેની બેંક દ્વારા સદર મકાનની પહેલી હરાજીની નોટિસ જાહેર કરવામાં આવી હતી. બેંકમાં ~2.99 કરોડથી વધુ બાકી હતા છતાં બેંકે હરાજી 2.46 કરોડથી શરૂ કરી હતી. બેંકના આવા વલણની સામે લોન ધારકે પત્ર દ્વારા દ્વારા વેલ્યુશન ઓછું આંકવામાં આવ્યું છે, ફેરવિચારણા કરવા માંગ કરી હતી. છતાં બેંક દ્વારા મકાન ઓછા ભાવે 24-10-2024ના રોજ આ મકાન બેલાબેન મનોજભાઈ પટેલને રૂ.1.55 કરોડમાં એટલે કે ખરા વેલ્યુએશનથી 50%થી પણ ઓછી રકમમાં વેચી દીધું હતું. પરિણામે લોન ધારકે વકીલ મારફત વડોદરાની કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી. કોર્ટમાં મૂળ લોન ધારક બેન્ક ઓફ બરોડા તથા ખરીદનાર વચ્ચેનો દસ્તાવેજ રદ કરવાની દાદ માંગવામાં આવી હતી હતી. જેમાં કોર્ટે બેંક તથા મકાન ખરીદનારને કોર્ટમાં હાજર રહેવાં નોટિસ આપી છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:49 am

ભાસ્કર ઈનસાઈડ:સસ્તામાં સોનું આપવા કહી 19 ઠગે કર્ણાટકના વેપારી સહિત 13 લોકોના ~4.92 કરોડ ઠગ્યા

કર્ણાટકના વેપારી સહિત 13 લોકોને સસ્તા ભાવે સોનું તથા લોન અપાવવાનું કહી 19 ઠગે રૂ.4.92 કરોડ પડાવતાં જે.પી રોડ પોલીસે ગુનો નોંધ્યો છે. આ ઠગોએ વેપારીને રૂ.10 કરોડની લોન અપાવવાના બહાને પણ રૂ.31 લાખ પણ પડાવી લીધા હતા. કર્ણાટકના આરાપનાલ્લીમાં ઇ કોમર્સ બિઝનેસ કરતા મંજૂ.આર.રવી.એચ.એમ. માર્ચમાં કર્ણાટકમાં ઈ-બાઇકના શો-રૂમના ઓપનિંગમાં બ્રોકર ચિંતનને મળ્યા હતા. જ્યાં તેણે મિત્રો અમદાવાદ-વડોદરામાં ઓછા ભાવે સોનું તથા ઓછા વ્યાજે લોન અપાવે છે કહેતાં વેપારી ચિંતન સાથે અક્ષરચોકની સિગ્નેટ હબમાં વિશાબ બારડની ઓફિસે ગયા હતા. ત્યાં 20થી 30 લોકો કામ કરતા હતા. વિશાલે રૂ.10 લાખ લઈ 100 તોલાના સોનાના બિસ્કિટ આપ્યા હતા. ત્યારબાદ વિશાલ તથા નયના મહિડા વેપારી પાસે બેંગ્લોર ગયા હતા. વિશાલે અહીં સોનું ઓછુ પડે છે, તમારે વડોદરા આવવું પડશે, કિલોમાં જોઈતું હોય તો કહો, થોડામાં રસ નથી, હું લોન એજન્ટ છું, રૂ.10 કરોડની લોન અપાવીશ કહી રૂ.31 લાખ લઇ અલકાપુરી રાધે એન્ટરપ્રાઇઝ ઈન્પોર્ટ-એક્સપોર્ટ એન્ડ ફાયનાન્સ ઓફિસે રાજવીર પરિખ પાસે લઈ ગયા હતા. રાજવિરે કહ્યું કે, અમારી સાથે કામ કરો, વધુ કમીશન આપીશ. વેપારીએ પરિચિતો, મિત્રો સહિત 13 લોકોના રૂ.4.80 કરોડ રાજવીરને આપતાં 24 તોલા સોનું મળ્યું હતું. થોડા સમય બાદ વેપારીને સોનાના બિસ્કીટ બતાવ્યા હતા. રાજવીર કહેતો કે, ઈડી-કસ્ટમ પાછળ પડ્યા છે, બાદમાં ફોન ઉપાડતો ન હતો. રાજવીર તથા તેના ભાગીદાર વિશાલ બારડ, નયના મહિડા સહિતે રૂ.4.92 કરોડની ઠગાઈ કરી હોવાનું જાણવા મળ્યું હતું. અગાઉ પકડાઇ ચૂકેલો ઈલ્યાસ અજમેરી જ રાજવીર પરીખનું નામ ધારણ કરી લોકો સાથે ઠગાઈ કરતો હતોસસ્તા સોનાની લાલચ આપી ઠગતી ટોળકીના ઈલ્યાસ અજમેરીને 2022માં ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યો હતો. અગાઉ તેણે 72 લાખ પડાવી લેવાના મામલે પકડવામાં આવ્યો હતો. પોલીસથી બચવા તે ડાકોર રહેતો હતો, અગાઉ પોલીસે તેના ઘરની તપાસ કરી ત્યારે 9 ફોન અને 8 સીમ મળી આવ્યા હતા. તેણે જ રાજવીરનું નામ ધારણ ઠગાઇ કરી છે જે વોન્ટેડ છે. મહારાષ્ટ્ર બોર્ડર પાસે રેડ છે કહી વેપારીને ઉતારી દીધાસાડા ત્રણ કિલો સોનું છે કહી કેટલાંક લોકોએ વેપારી સહિત મિત્રોને ગામ સુધી પહોંચાડીશું કહી કારમાં લઈ ગયા હતા. ભરૂચથી મહારાષ્ટ્ર બોર્ડર ક્રોસ કરતાં એક કારે ઓવરટેક કરી હતી. 5 લોકો બહાર આવ્યા હતા, બેએ પોલીસનું ખાખી પેન્ટ પહેર્યું હતું. લાઠી પણ હતી. રેડના નામે તમામને કારમાંથી ઉતારી મોકલી દીધા હતા. આ આરોપીઓ સામે પોલીસે ગુનો નોંધ્યો} વિશાલ વિનોદભાઈ બારડ } નયનાબેન મહિડા } રાજવીર પરિખ ઉર્ફે ઈલ્યાસ અજમેરી } ભરતભાઈ } રાજભાઈ } સુલતાનભાઈ } ભાવેશભાઈ } વિરલભાઈ } લાલાભાઈ } સમીરભાઈ } ગણેશ } હર્શ શર્મા } શ્રીનિવાસન } છ અજાણી વ્યક્તિ

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:48 am

છેતરપિંડી:દુબઈ ટુરના નામે પિતા-પુત્રે રૂા.6 લાખ ઠગ્યા બિલ્ડરે પોતાના ખર્ચે સાઇટ સીન જોવા પડ્યા

દુબઇ ટૂર પેકેજના બહાને ટ્રાવેલ એજન્ટે બિલ્ડર સાથે 6.24 લાખ રૂપિયા લઇ ઠગ્યા હોવાની ફરિયાદ વારસિયા પોલીસ મથકે નોંધાઈ છે. રૂપિયા પરત માંગતા ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે ટ્રાવેલ એજન્ટ પિતા-પુત્રની શોધખોળ હાથ ધરી છે. હરણી વારસિયા રીંગ રોડ પર શ્વેતા પાર્કમાં રહેતા મહેશકુમાર બળવંતસિંહ ગઢવી બિલ્ડર છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું કે, ‘હોલીડેઝડલ ટુરિઝમ નામથી ધંધો કરતા રાજીવ પારેખ, રહે-ગીરીરાજકૃપા, ડભોઇ રોડ સાથે મિત્ર થકી સંપર્ક થયો હતો. પરિવાર સાથે દુબઈ ફરવા જવું હોવાથી રાજીવભાઈએ 8.85 લાખનું પેકેજ આપ્યું હતું. એડવાન્સમાં રૂપિયા લીધા હતા. ઉપરાંત 2.26 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. જે પરત આપ્યા ન હતા. આરોપીઓએ દુબઈમાં એક જ એપાર્ટમેન્ટ બુક કર્યું હતું જેના કારણે હોટલમાં બીજો સર્વિસ એપાર્ટમેન્ટ બુક કરવા વધારાના રૂપિયા ચૂકવવા પડ્યા. પેકેજમાં સામેલ છતાં ત્યાં સાઈટ સીનનો ખર્ચ ચૂકવવો પડ્યો. એજન્ટે નક્કી કરેલા પેકેજની કિંમત ઉપરાંત રૂ.6.24 લાખ વધારાના ખર્ચ કરાવી રૂપિયા પરત આપ્યા ન હતા. દુબઇથી પરત આવીને એજન્ટ રાજીવભાઇ પાસે રૂપિયા પરત માંગતા તે અને તેના પુત્ર આર્યને ધમકી આપી હતી કે, મારું ખૂબ જ મોટું નેટવર્ક છે, તમારો કન્સ્ટ્રકશનનો ધંધો બંધ કરાવી દઈશ, જાનથી મારી નાખીશ.’ જેને પગલે બિલ્ડર દ્વારા વારસિયા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 8.69 લાખના પેકેજમાં આવવા-જવા, રહેવા, જમવા, સાઇટ સીન સહિતનો ખર્ચ સામેલ હતોટ્રાવેલ એજન્ટ રાજીવ પારેખને દુબઇ ફરવાનું પેકેજ નક્કી કરી 8.69 લાખ ચૂકવી દીધા હતા. પેકેજમાં આવવા-જવા, રહેવા, ખાવાના, સાઇટ સિનનો ખર્ચ સામેલ હતો. બે એપાર્ટમેન્ટ નક્કી થયા હોવા છતાં એક જ બુક કરાવ્યું હતું. સાઇટ સિનનો ખર્ચો અમારે કરવો પડ્યો હતો. જે 6.24 લાખ થયો હતો. આ રકમ પરત કરવા જણાવ્યું હતું. તે સમયે રકમ પરત કરવાને બદલે એજન્ટે મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે ચોરી ઉપર સીના જોરી કહી શકાય. > બળવંતસિંહ ગઢવી, ફરિયાદી બિલ્ડર

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:45 am

કાર્યવાહી:માંજલપુર અપહરણ-ખંડણી કેસમાં ઝડપાયેલો જેલ હવાલદાર સસ્પેન્ડ

પોલીસની ઓળખ આપી વેપારી અને યુવતીનું અપહરણ કરી ખંડણી વસૂલવાના મામલામાં માંજલપુર પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા હતા. જે પૈકી એક જેલમાં ફરજ બજાવતો હવાલદાર હતો. પોલીસે આ અંગે જેલ સત્તાવાળાઓને જાણ કરતા આરોપી હવાલદારને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. વેપારીની મહિલા મિત્રની ભૂમિકા અંગે પણ પોલીસ ઊંડાણ પૂર્વક તપાસ કરી રહી છે. માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી કે.10 દિવસ અગાઉ ભરૂચથી કપડાંનો વેપારી મહિલા મિત્રને લઈ અત્રે આવ્યો હતો.તે વેપારી અને મહિલાનું અપહરણ કરી ખંડણી વસૂલી હોવાનો બનાવ બન્યો હતો.જેમાં નકલી એસ.ઓ.જી બનેલા જેલ વિભાગના બે હવાલદારોની સંડોવણી બહાર આવી હતી. એ પૈકી યાજ્ઞિક રમણભાઈ ચાવડાને પોલીસે ઝડપી પાડ્યો હતો.આરોપી સેન્ટ્રલ જેલ ખાતે સિપાઈ તરીકે ફરજ બજાવતો હતો. જેની ધપકડ કરી હોવાની માંજલપુર પોલીસે જેલ સત્તાવાળાઓને જાણ કરી હતી.જેના આધારે જેલની વડી કચેરી અમદાવાદથી હવાલદાર યાજ્ઞિક ચાવડાને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, અપહરણ અને ખંડણીના આ મામલામાં જેલનો અન્ય સિપાઈ કાનાભાઈ કુંભારની પણ સંડોવણી બહાર આવી છે. જે હાલમાં ફરાર છે અને પોલીસ શોધખોળ ચલાવી રહી છે. મહિલા મિત્રને હાજર રહેવા નોટિસ, ચોંકાવતી વિગતો બહાર આવી શકેભરૂચના કાપડના વેપારીની કારમાં બેઠેલી મહિલા મિત્રનું પણ સફેદ સ્કૉર્પિયોમાં અપહરણ થયું હતું, આ અંગે માંજલપુર પોલીસ મથકે વેપારીએ પોતાનું અને મહિલા મિત્રનું અલગ અલગ કારમાં અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી. જોકે ફરિયાદના એક સપ્તાહ બાદ પણ યુવતી નિવેદન માટે નહીં આવતા પોલીસે ભરૂચની યુવતીને નિવેદન માટે હાજર રહેવા નોટિસ પાઠવી છે. યુવતીના નિવેદન બાદ ચોંકાવનારી માહિતી બહાર આવી શકે છે .

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:44 am

ભાસ્કર ઈનસાઈડ:4 કરોડના કામના ખાતમુહૂર્તમાં લોકોનો ડે.મેયર, ધારાસભ્યને ટોણો,પાણીની સમસ્યાઓ તો ઉકેલો

વોર્ડ-11માં પાલિકાએ વરસાદી ગટર, પાણીની લાઇન, પેવર બ્લોકની કામગીરી 4 કરોડના ખર્ચે કરાશે. જેના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સ્થાનિક રહીશોએ ધારાસભ્ય, ડે.મેયરને પાણી ભરાવા, કચરાના નિકાલ અંગે રજૂઆત કરી હતી. સ્થાનિક રહીશોએ 4 કરોડના ખર્ચે કામગીરી કરતાં પહેલાં વિસ્તારની સ્થિતિ સુધારો તેવું આક્રોશ સાથે જણાવ્યું હતું. સન ફાર્મા રોડ પર પાણીની લાઇન, વરસાદી ગટરની કામગીરી, પેવર બ્લોક લગાડવાની કામગીરી સંદર્ભે ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઇ, ડે.મેયર ચિરાગ બારોટ, કાઉન્સિલર સંગીતાબેન ચોકસી, મહાલક્ષ્મીબેન સેટિયાર ઉપસ્થિત રહ્યાં હતાં. 4 કરોડના ખર્ચે કરવામાં આવનાર આ કામગીરીનું ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું હતું. આ કામગીરી બાદ સ્થાનિક રહીશો દ્વારા ધારાસભ્ય ચૈતન્ય દેસાઇ, ડે.મેયર ચિરાગ બારોટ તથા કાઉન્સિલરોને રહીશોએ ઉગ્ર રજૂઆતો કરી હતી. હરિભક્તિ એક્સટેન્શનમાં વરસાદી પાણીનો નિકાલ થતો નથી, પીવાનું પાણી લો પ્રેશરથી આવી રહ્યું હોવાની ફરિયાદ કરી હતી. આ વિસ્તારમાં પેવર બ્લોક નાખવા માટે પણ રજૂઆતો કરવામાં આવી હતી. જેને પગલે ધારાસભ્ય અને ડે.મેયરે વિસ્તારના રહીશોને સરવે કરવાની કામગીરી શરૂ કરવા જણાવ્યું હતું. રહીશોએ એવું પણ કહ્યું હતું કે, નવાં કામોનાં ખાતમુહૂર્તોને બદલે સમસ્યાઓ છે તેનો ઉકેલ લાવો. અહીં ગંદકીની સમસ્યા મુદ્દે પણ સ્થાનિક રહીશોએ રજૂઆતો કરી હતી. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ વિસ્તારમાં વરસાદમાં અનેક જગ્યાએ જળ બંબાકારની સ્થિતિ સર્જાઇ છે. મુખ્યમંત્રીએ ઇ-ખાતમુહૂર્ત કરેલા કામનું ફરીથી ખાતમુહૂર્ત કરાયુંમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 6 મહિના પહેલાં વડ ગાર્ડનથી બાન્કો સુધી વરસાદી ગટરની કામગીરી માટે શહેરના વિવિધ કામોનાં ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આ કામનું પણ ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું. જોકે વોર્ડ 11માં ડે.મેયર, ધારાસભ્ય, કાઉન્સિલરો દ્વારા ફરીથી આ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં પાલિકાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે જે કામોનાં પહેલેથી ઇ-ખાતમુહૂર્ત થઇ ગયાં છે તેવાં કામોનું ફરીથી ખાતમુહૂર્ત યોજીને પ્રજામાં કામગીરી બતાવવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:43 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:કામ કરો નહીંતર ધરપકડ થશે: બીએલઓને તંત્રની ચીમકી, અપમાનિત પણ કરવામાં આવી રહ્યા છે

સરની કામગીરીનું દબાણ બીએલઓથી લઇ સુપરવાઈઝર સુધી પહોંચ્યું છે. ઓછા સમયમાં કામ પૂર્ણ કરવાની દોડમાં ઉપરથી લઇ નીચે સુધી તમામ સ્તરે નીચલા સ્ટાફને ગુલામ માની કામગીરી કરાવી રહ્યા છે. કોઇ પણ ભોગે કામ પૂર્ણ કરવાની લહાયમાં ક્યાંક ધરપકડના વોરંટની ધમકી, તો ક્યાં બીએલઓ-સુપરવાઇઝ આમને-સામને તુ-તારી ઉપર ઉતરી રહ્યા છે. હદ્દ તો ત્યારે થઇ છે કે, બીએલઓએ અધિકારીને નમૂનો અને અધિકારીએ બીએલઓને દારૂડીયો કઇ રહ્યા છે. શિક્ષકોની રજા મંજૂર ન કરવાની ધમકી સાથેની આ તમામ વાતચીત મેસેજથી થઇ રહી છે. એક પછી એક ત્રણ બીએલઓના મોત બાદ ક્યાંક ઉપરી અધિકારીઓ નબળા પડ્યા છે અને ધમકી ભર્યા મેસેજ ડિલેટ કરી દીધા છે. કિસ્સો -1નવસારીના બીએલઓ ગ્રુપમાં અધિકારી કામગીરીને લઇ લખ્યું કે સુચના આપવામાં આવે એમ કામ કરો, નહીં તો ભોગવવું પડશે અને પસ્તાવાનો વારો આવશે. છેલ્લીવાર લખુ છું, ચેતી જાજો. તેના જવાબમાં બીએલઓએ પણ જવાબ આપવાના શરૂ કરી દીધા હતા. કિસ્સો -2કેશોદના મદદનીશ કલેક્ટરે ગ્રુપમાં સુપરવાઇઝરોને ટાંકીને લખ્યું હતું કે, દરેક સુપરવાઇઝરને અત્યાર સુધી એકત્રિત કરાયેલા તમામ ફોર્મનું ડિજિટાઇઝેશન કરવાનું રહેશે. જો તમે નથી ઇચ્છતા કે હું તમારી વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરું તો આજે રાત સુધીમાં તે કરી લો. હું ખૂબ જ ગંભીર છું. બીજા એક મુદ્દે લખ્યું હતું કે, બીએલઓ દિવસ-રાત કામ કરી રહ્યા છે પણ સુપરવાઇઝર ફક્ત મેસેજ અને ફોન કરીને કંટાળી ગયા છે. કિસ્સો-3સુરેન્દ્રનગરના વઢવાણમાં સ્કૂલના આચાર્યોના ગ્રુપમાં એક અધિકારીએ લખ્યું કે, કોઇ પણ સહાયક કે શિક્ષકની સરની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી રજા મંજૂર કરવાની નથી. આ સૂચનાનું ચુસ્તપણે અમલ થાય તે સુનિશ્ચિત કરવું. આ મેસેજ તમામ પેટા શાળાના આચાર્ય અને શિક્ષક સુધી પહોંચડવો.​​​​​​​

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:42 am

ધારાસભ્ય શૈલેષ સોટ્ટા સાંત્વના આપવા કાયાવરહણ પહોંચ્યા:ડિજિટલ એરેસ્ટમાં આપઘાત કરનાર ખેડૂતના પરિવારની કડક સજાની માગ

ડિજિટલ એરેસ્ટના બનાવ બાદ રાજ્યમાં પહેલાં આત્મહત્યાના ચકચારી બનાવમાં ડભોઈના ધારાસભ્યે કાયાવરોહણ ખાતે મૃતકના પરિવારને મળી તેમને સાંત્વના આપી હતી. ત્યારે પરિવારે આરોપીને પકડીને કડકમાં કડકમાં સજા મળી તેવી માગ કરી હતી. કાયાવરોહણ ખાતે રહેતા અતુલભાઈ પટેલને ભેજાબાજોએ પોલીસની ઓળખ આપી તેમને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. સતત ફોન ચાલુ રખાવો અને પાંચ-પાંચ મિનિટે કોલ કરાતા હતા. તેમને 40 કરોડના ફ્રોડમાં તમારું નામ છે તેમ કહેવામાં આવ્યું હતું. ત્યારે ગભરાઈને સોમવારે અતુલભાઈ પટેલે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા(સોટ્ટો)એ કહ્યું હતું કે, મૃતક અતુલભાઈ પટેલના પરિવારને શનિવારે મળ્યો હતો. તેમને દુખદઃ ઘટનાને લઈ સાંત્વના આપી હતી. પરિવારજનોએ કહ્યું હતું કે, અમારા પરિવારનો સભ્ય ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યો હતો. અને તેઓ ગભરાઈ ગયા હતા, ત્યારબાદ તેમને આપઘાત કરી લીધો હતો. ઘટનાને લઈ પોલીસે અતુલભાઈ પટેલનો ફોન કબ્જે કરી એફએસએલ મોકલી આપ્યો છે. ત્યારે આ કાર્યવાહી વહેલામાં વહેલી પૂરી કરાઈ અને આરોપીને પકડીને તેમને કડકમાં કડક સજા મળે તેવી માગ કરી હતી.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:41 am

ફરિયાદ:કોલ સેન્ટર કૌભાંડમાં શકમંદોના નામ બહાર આવ્યા, અમેરિકાથી પિકઅપ માટે 20 યુવકો કામ કરતાં હતા

FBI ના નામે અમેરિકન નાગરિકોને ધમકી આપી મોટી રકમ પડાવવાના દેશ ભરમાં ચાલતા કોલ સેન્ટરોનું એપી સેન્ટર વડોદરા હોવાનું બહાર આવ્યું છે. શહેર પોલીસના સાયબર ક્રાઈમ વિભાગે એક કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે.જ્યારે છાણી પોલીસ મથકે નોંધાયેલી અપહરણ અને ખંડણી વસૂલવાની ફરિયાદ નોંધાઈ હતી. બે જુદી જુદી ફરિયાદમાં આ કનેક્શન બહાર આવ્યું છે.આ કૌભાંડ હજારો કરોડનું હોવાનું માનવામાં આવે છે. પોલીસે છાણી અને સાયબર ક્રાઈમની ફરિયાદમાં 5 આરોપીને ઝડપી પાડી રિમાન્ડ મેળવ્યા હતા. આ મામલામાં પોલીસ વધુ શકમંદોની પૂછપરછ હાથ ધરી છે જેમાં કૌભાંડ અંગેની વધુ વિગતો બહાર આવી રહી છે સાયબર ક્રાઈમ દ્વારા કલાલી ચાપડ રોડ ઉપર દરોડો પાડી એક કોલ સેન્ટર ઝડપી પાડવામાં આવ્યું હતું.જેમાં વિન્ટેજ બંગલો મકાન નંબર 51 માં સ્વયંમ રાઉત તેના મિત્રો સાકાયદે આંતરરાષ્ટ્રીય કોલ કરી વિદેશમાં રહેતા લોકોને કોલ કરતા હતા.અને ફાઇનાન્સ કંપનીના નામે વાતચીત કરી વિદેશીઓને લોન મંજૂર થઈ ગઈ છે.તેમ જણાવી વિશ્વાસઘાત કરતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ત્રણ આરોપોને ઝડપી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા .પૂછપરછ દરમ્યાન બીજા શકમંદો ના નામ બહાર આવતા પૂછપરછ માટે બોલાવાયા હતા . પોલીસના દરોડામાં સ્વયંમ પાસેના લેપટોપ ઉપર જુદી જુદી એક્સેલ ફાઇલો હતી. પોલીસે એની પાસેથી લેપટોપ ઉપરાંત બે ફોન પણ કબજે કર્યા હતા. જ્યારે બીજો આરોપી અંશ હિતેષભાઇ પંચાલ હતો. ત્રીજો આરોપી સ્નેહ મુકુંદભાઈ પટેલ પટેલ છે. પોલીસે આરોપિયોના તમામ ફોનને એફએસએલ લેબમાં તપાસ અને ડેટા રિકવરી માટે મોકલી આપ્યા છે.આરોપીઓ સ્વયંમ અરુણ રાઉત રહે નંદ સોસાયટી,રિલાયન્સ મોલ પાછળ,અક્ષર ચોક ,સ્નેહ મુકુંદભાઈ પટેલ રહે, 203 પ્રકૃતિ ફ્લેટ , દરબાર ચોકડી માંજલપુર,અંશ હિતેષભાઇ પંચાલ,રહે,જી.એફ 3 , પુષ્પ હાઈટ,માંજલપુરની રિમાન્ડ દરમ્યાન પૂછપરછ ચાલી રહી છે. જેમાં અમેરિકન નાગરિકોને ધમકાવી કેવી રીતે કરોડો રૂપિયાની હેરાફેરી કરવામાં આવતી હતી . એની વિગતો બહાર આવી છે . ટેક, પ્રોસેસર, પિક અપ, ડિલિવરી જેવા કોડવર્ડ રાખતાપૂછપરછ દરમ્યાન અમેરિકન નાગરિકોને છેતરી અને ધમકાવી કેવી રીતે કરોડો રૂપિયાની હેરાફેરી વડોદરાથી થતી હતી એની તબક્કાવાર વિગતો બહાર આવી છે. જેમાં કોલ સેન્ટર અમેરિકન નાગરિકને ફસાવતા હતા એને ટેક નામ આપવામાં આવતું હતુ.જેમાં કોલ સેન્ટરમાંથી ડેટા દ્વારા કોઈ ટેક કરવામાં આવે છે.અમેરિકન નાગરિક ડોલર આપવા તૈયાર કરાય છે. બાદમાં આ રકમ કે સોનુ લેવા માટે પ્રોસેસરનું નામ આપી ડિલિવરી લેવા માટે ની શોધખોળ કરવામાં આવે છે.જેમાં પિક અપ માટે કામ કરનારને સોંપવામાં આવે છે.પિક અપ કરનારા વડોદરામાં 20 જેટલા યુવકો કામ કરે છે.જે 5 કરોડની કિંમતના પેકેજ પિક અપ કરવાનું કામ લે છે.ત્યાર બાદ આ રકમ ની ડિલિવરી પ્રોસેસરને પહોંચે છે.અને અંતે ટેક પાસે પહોંચે છે.આખા કૌભાંડમાં દરેકને રોજના 2 થી 3 લાખ રૂપિયા કમિશન મળે છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:40 am

સુધારણા સમિતિની રચના:મ. સ. યુનિ.એ એનઇપી-2020 હેઠળ પરીક્ષા સુધારણા સમિતિની રચના કરી

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અનુસાર ઉચ્ચ સ્તરીય પરીક્ષા સુધારણા સમિતિની રચના કરી છે. આ પગલું યુનિવર્સિટીની પરીક્ષા અને મૂલ્યાંકન પ્રણાલીને આધુનિક, પારદર્શક અને વધુ અસરકારક બનાવવા માટે મહત્વપૂર્ણ પહેલ છે. તેનો ઉદ્દેશ્ય તમામ પરીક્ષા પ્રક્રિયાઓને વધુ ન્યાયી, વિશ્વસનીય અને ટેકનોલોજી-સક્ષમ બનાવવાનો છે. દેશભરની યુનિવર્સિટીઓ એનઇપી પર આધારિત નવા શૈક્ષણિક માળખા તરફ આગળ વધી રહી છે. આ દિશામાં એમ.એસ.યુનિવર્સિટીએ ગુજરાતની વિવિધ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના પ્રખ્યાત કુલપતિઓ, વરિષ્ઠ વહીવટકર્તાઓ, શૈક્ષણિક નિષ્ણાતો અને અનુભવી પરીક્ષા અધિકારીઓની બનેલી સમિતિની રચના કરીને અગ્રણી ભૂમિકા ભજવી છે. વીસી પ્રો. ભાલચંદ્ર ભાણગે, આ સમિતિના અધ્યક્ષ રહેશે. આ સમિતિ વર્તમાન પરીક્ષા પ્રણાલીનો અભ્યાસ કરશે અને મૂલ્યાંકન પ્રણાલી, ગ્રેડિંગ, મધ્યસ્થતા, ગ્રેસ કન્ડોનેશન નિયમો અને ટેકનોલોજી-આધારિત મૂલ્યાંકન જેવા મુદ્દાઓ પર સુધારાની ભલામણ કરશે. આ સમિતિ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના હાલના વટહુકમો, રાજ્યના નિયમો અને રાષ્ટ્રીય ધોરણોનો અભ્યાસ કરશે અને વિદ્યાર્થી-કેન્દ્રિત, પરિણામ-આધારિત અને ટેકનોલોજી-સક્ષમ પરીક્ષા માળખાની ભલામણ કરશે. આ પહેલ એમ.એસ.યુનિવર્સિટી એનઇપી આધારિત શૈક્ષણિક શ્રેષ્ઠતા અને વહીવટી સુધારાઓને વધુ મજબૂત બનાવશે. પરીક્ષા સુધારણા સમિતિના સભ્યો

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:39 am

ભાસ્કર ઈનસાઈડ:આર્ટ્સ ફેકલ્ટીમાં ગર્લ્સ વોશરૂમના વિવાદ બાદ આખરે હંગામી 2 ઇ-ટોઇલેટ મૂકાયાં

મ.સ. યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં વોશરૂમ મુદ્દે ભારે વિવાદ થયો હતો. તે પછી આખરે હંગામી વોશરૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. આર્ટ્સ ફેકલ્ટીમાં ગર્લ્સ-બોયઝનાં 2 ઇ-ટોઇલેટ મૂકવામાં આવ્યાં છે. બોટનિકલ ગાર્ડનની બહાર આ ઇ-ટોઇલેટ મૂકાવ્યા છે. આર્ટ્સ ફેકલ્ટીની ઐતિહાસિક ઇમારતના સમારકામને પગલે ત્યાંથી વોશરૂમ હટાવી દેવામાં આવ્યાં હતાં. ત્યારબાદ વિદ્યાર્થિનીઓને મુશ્કેલી પડતાં તેઓ વોશરૂમ માટે સતત લડત લડી રહી છે. જેને પગલે ફેકલ્ટી સત્તાધીશો દ્વારા હંગામી ધોરણે વ્યવસ્થા કરી હતી. ફેકલ્ટી ડીન કલ્પના ગવલીએ વિદ્યાર્થીઓ માટે હંગામી ધોરણે 2 ઇ-ટોઇલટની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી વિદ્યાર્થીઓને પરેશાની ન થાય. આર્ટ્સ ફેકલ્ટીના ગુજરાતી વિભાગની પાછળ જ વોશરૂમ તૈયાર કરવા માટે સરવે કરવામાં આવ્યો હતો. જોકે સાયન્સ ફેકલ્ટીના અધ્યાપક અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યે બોટનિકલ ગાર્ડનને અડીને વોશરૂમ તૈયાર કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. ઐતિહાસિક ગુંબજમાં વોશરૂમને પગલે સમસ્યા સર્જાશે, તેમ કહી કાઢી નખાયાંમ.સ. યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં ઐતિહાસિક ગુંબજને 145 વર્ષ થયાં છે ત્યારે તેમાં પહેલેથી જ વોશરૂમની વ્યવસ્થા હતી. જોકે 8 વર્ષ પહેલાં જ્યારે આર્ટ્સના બિલ્ડિંગનું સમારકામ શરૂ કરવામાં આવ્યું ત્યારે ઇમારતને નુકસાન થશે, તેવું કહીને આ વોશરૂમને કાઢી નાખવામાં આવ્યાં હતાં. જોકે આર્ટ્સ ફેકલ્ટીના સત્તાધીશોએ જણાવ્યું હતું કે, ભારતમાં સંખ્યાબંધ ઐતિહાસિક ઇમારતો, રાજમહેલ, કિલ્લાઓમાં વોશરૂમની વ્યવસ્થાઓ છે. આ બિલ્ડિંગોને કોઇ પણ પ્રકારનું નુકસાન થતું નથી તેમ છતાં આર્ટ્સ ફેકલ્ટીમાં વોશરૂમ હટાવી દેવામાં આવ્યાં હતાં.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:38 am

ભાસ્કર ઇનસાઇડ​​​​​​​:ફતેગંજ બુલ સર્કલ પાસે ગેસ લીકેજથી ડ્રેનેજ લાઇનમાં આગ, વાહન ચાલકોમાં દોડધામ

ફતેગંજમાં ગટરની ચેમ્બરમાંથી આગ લાગતાં વાહન ચાલકો ગભરાઇ ગયા હતા. ફાયરબ્રિગેડને જાણ કરાતાં લાશ્કરોએ પહોંચી મિનિટોમાં આગ બૂઝાવી હતી. જ્યારે ગેસ વિભાગે સમારકામ કર્યું હતું. ફતેગંજ બુલ સર્કલ પાસે પંપિંગ સ્ટેશનથી બ્રિજ તરફના રસ્તે ગટરની ચેમ્બરમાંથી સવારે 10 વાગ્યે અગન જ્વાળા નીકળવા માંડી હતી. જેને પગલે ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. દરમિયાન લાશ્કરોએ આવી 15 મિનિટમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. સાથે ગેસ વિભાગે સમારકામ કર્યું હતું. અંદરના ભાગે મોટો બ્લાસ્ટ થયોઘટનાના સાક્ષીએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું કે, આગ ઓલવવાના કામ વેળા અંદર ધડાકો થયો હતો. તેનો અવાજ ચર્ચની બિલ્ડિંગ પાસે સંભળાયો હતો. ગેસ વધુ જમા થતાં આગ-પાણીની વરાળ ભેગી થતાં ધડાકો થવાની શક્યતા છે. ફતેગંજની લાઇનોમાં બટ જોઇન્ટ એટલે સામસામે ગોઠવી ફિટ કરાઈ છે, તિરાડ પડતાં ગેસ લીક થાયગેસ વિભાગનાં સૂત્રોએ જણાવ્યા મુજબ આધુનિક ગેસ પાઇપ-લાઇનોમાં ઇલેક્ટ્રોફ્યૂઝન જોઇન્ટ્સ હોય છે, જેમાંથી ગેસ નીકળવાની કે લીકેજની સમસ્યા નહિવત હોય છે. ફતેગંજની લાઇનોમાં બટ જોઇન્ટ છે. જેમાં પાઇપોના છેડાને સામસામે ગોઠવી ફિટ કરાય છે. આ જૂની ટેક્નોલોજી હતી. તેમાં સહેજ પણ ક્રેક આવતાં ગેસ લીકેજ થવા માંડે છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:23 am

સિટી એન્કર:ચલણ-ક્યૂઆર કોડ વિના પિતાને વાહનનો દંડ ભરવા દબાણ કર્યું, દીકરીએ વાહનનો નંબર સર્ચ કરી બતાવ્યું, મેમો જ નથી

જેલ રોડ નર્સિંગ હોમ ત્રણ રસ્તે શનિવારે સાંજે 4-30 વાગે પિતાને ટ્રાફિક પોલીસે પકડ્યા હોવાથી પુત્રીએ પોલીસને આડે હાથ લીધી હતી. મહિલા સહિતના લોકોએ પોલીસ સાથે ઝપાઝપી કરી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે મોપેડ ચાલકનાં 3 ચલણ ભરવાનાં બાકી હોવાનું કહી પકડ્યા છે, તેમ જણાવ્યું હતું. અંતે રાવપુરા પોલીસ સ્ટેશને મામલે થાળે પડી ગયો હતો. વાહન ચાલક શ્રેયા ડોડિયાએ મીડિયાને કહ્યું કે, મારા પિતાને નર્સિંગ હોમ ત્રણ રસ્તે પકડ્યા હતા. તેમની પાસે આરસી બુક નહોતી. જેથી ફોટો મોકલવા કહ્યું હતું. જોકે પોલીસ કર્મીએ ઓનલાઇન નહીં ચલાવીએ તેમ કહ્યું હતું. તેઓએ મોપેડની ચાવી કાઢી લીધી હતી. પોલીસને આવી ઓથોરિટી નથી. અમે ચલણ ના ભરવાના હોય તો વાહન જમા કરી લો, પણ તેમની પાસે સ્લિપ નહોતી. પોલીસ કર્મીએ દારૂ પીધો હોવાના આક્ષેપ પણ તેમણે કર્યા હતા. પોલીસ કર્મી અગાઉનાં ચલણ બાકી છે તેમ કહેતાં હતાં. મહિલાએ કહ્યું કે, મેં વેબ સાઇટ પર જોયું હતું, તેમાં અનપેડ ચલણ નહોતાં. અમે ભરવા તૈયાર છીએ. જોકે તે ઓન ડ્યૂટી હતું, પણ ઓનલાઇન પેમેન્ટ માટે ક્યૂઆર નહોતો. રોકડાને લઈ સ્લિપ પણ નહોતી. વાહન ચાલકે 3 ચલણ ભર્યાં નહોતાં, ઓનલાઇન મેમો છે: ટ્રાફિક પોલીસટ્રાફિક પોલીસે કહ્યું કે, પોલીસે તપાસ કરતાં મોપેડના અગાઉ 3 ચલણની ભરપાઈ કરવાની બાકી હતી. તેને ચલણ ભર્યાં નહોતાં અને ભરવા નહોતા. વાહન જમા કરવા કહ્યું હતું. જેને લઈ બોલાચાલી કરી હતી. સ્લિપ નહીં ઓનલાઇન મેમો છે. બંને પક્ષો તરફથી ફરિયાદ અપાઈ નથી : રાવપુરા પોલીસરાવપુરા પોલીસે કહ્યું કે, મહિલા સહિતના લોકો અને પોલીસ કર્મી આવ્યા હતા. બંનેને કોઈ ફરિયાદ કરવી નહોતી. તેઓ સ્થળ પર ઉગ્ર થયાં હતાં. વાહનના દસ્તાવેજ બતાવવા તથા મેમો ભરવા મુદ્દે બોલાચાલી થઈ હતી. કોઈ કાર્યવાહી કરાઈ નથી.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:22 am

ભાસ્કર નોલેજ:વાઘોડિયા હાઇવે ઉપર ઓઇલ ઢોળાતાં વાહન ચાલકો લપસ્યાં

વાઘોડિયાના હાઇવે પરની એમિક્સ સ્કૂલ સામે 100 મીટર જેટલા રસ્તા પર કોઇ વાહનમાંથી ઓઇલ લીકેજ થઇ ઢોળાયું હતું. જેને પગલે કેટલાંક વાહનો સ્લિપ થતાં લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જોકે ગંભીર અકસ્માત સર્જાયો ન હતો. બીજી તરફ ફાયરબ્રિગેડને જાણ કર્યા બાદ તુરંત સ્થાનિકો પણ સ્થિતિની ગંભીરતા જાણીને ભેગા થઇ ગયા હતા અને ઓઇલ પર ધૂળ-માટી નખાવી હતી. સાંજે પિક અવર્સ દરમિયાન ઘટના બનતાં વિસ્તારમાં ચર્ચાનો વિષય બની હતી. હાઇવે ઓથોરિટીને 112 નંબર દ્વારા જાણ કરી શકાયગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના એક્ઝિક્યૂટિવ કમિટી મેમ્બર અમિત ખત્રીએ જણાવ્યું હતું કે, સ્ટેટ હાઇવે કે નેશનલ હાઇવે પર આ રીતે રસ્તા પર ઓઇલ ઢોળાયું હોય તો સ્થાનિક ફાયરબ્રિગેડને જાણ કરવાની સાથે હાઇવે ઓથોરિટીને પણ લોકલ નંબર પર કોલ કરીને માહિતી આપી શકાય. સ્ટેટ હાઇવે ઓથોરિટી દ્વારા આવો નંબર જાહેર ન કરાયો હોવાથી 112 નંબર પર કોલ કરીને જાણ કરી શકાય.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:16 am

વીજળી વેરણ:ગોત્રી, ફતેગંજ સહિત 16 ફીડરમાં કાલથી 30મી સુધી 4-4 કલાક વીજ પુરવઠો બંધ કરાશે, 1 લાખ લોકોને અસર થશે

વિશ્વામિત્રી વેસ્ટ વિભાગનાં 16 ફીડર એટલે ગોરવા, ગોત્રી, ફતેગંજ, વાસણા જેવા ફીડરમાં સમારકામની કામગીરીને લઈ 24મીથી 30 નવેમ્બર સુધી સવારે 7થી 11 વાગ્યા વીજ પુરવઠો બંધ રહેશે. આ કામગીરીને લઈ 32 હજાર જોડાણો બંધ રહેતાં અંદાજે 1 લાખથી વધુ લોકોને અસર થશે. એમજીવીસીએલે કહ્યું હતું કે, વીજ સમારકામ કરવાનું હોવાથી વિશ્વામિત્રી વેસ્ટ વિભાગનાં 16 ફીડરમાં સવારે 7થી 11 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. સમારકામ પૂર્ણ થયા બાદ પુરવઠો ચાલુ કરાશે. આ કામગીરી 24થી 30 નવેમ્બર દરમિયાન કરાશે. અધિકારીએ જણાવ્યા મુજબ કામગીરીથી 32 હજાર વીજ જોડાણને અસર પડશે. નોંધનીય છે કે, અઠવાડિયા દરમિયાન વીજ પુરવઠો બંધ રહેતાં લોકો હેરાન થશે. બીજી બાજુ કેટલાય વિસ્તારમાં અઠવાડિયામાં બેથી વધુ વાર કલાકો સુધી લાઇટો જતી રહી હોવાના લોકોએ આક્ષેપ કર્યા હતા. વહેલી તકે કામગીરી પૂરી કરવા માટે સૂચના અપાઈશહેરમાં સતત વીજ પ્રવાહ જળવાઈ રહે તેને લઈ સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે. વહેલામાં વહેલા વીજ પુરવઠો ફરી શરૂ કરવામાં આવે, તેવી કામગીરી કરાશે. કર્મીઓને સૂચનો આપવામાં આવ્યાં છે, તેમ એમજીવીસીએલના અધિકારીએ કહ્યું હતું. ચોમાસું શરૂ થતાં પૂર્વે 4 મહિના પહેલાં સમારકામ કરાયું હતુંવરસાદ પૂર્વે 4 મહિના અગાઉ મેન્ટેનન્સ કરાયું હતું. જોકે વરસાદ બાદ મેન્ટેનન્સની ફરીથી જરૂર ઊભી થતાં પુન: કામગીરી કરાઈ રહી છે. જેની અસર 32 હજારથી વધુ વીજ જોડાણને થશે. વરસાદ બાદ ઊગી જતી વિવિધ વેલ, ઝાડ સહિત કાપવા અને જમ્પર, આરએમયુ, ટ્રાન્સફોર્મર સહિતનું મેન્ટેનન્સ કરાશે. અગાઉ જે ફીડરમાં કામ કરાયું તેના સિવાયનાં ફીડરની કામગીરી કરાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:15 am

'SIR'દર્દ:બીએલઓ સહાયક મહિલાને હૃદયની બીમારી, જાણ કરવા છતાં ફરજ સોંપી, ત્રીજા દિવસે મોત

સયાજીગંજની પ્રતાપ હાઈસ્કૂલમાં સવારે બીએલઓ સહાયક તરીકે કામ વહેંચણીની રાહ જોતાં 50 વર્ષનાં મહિલા કર્મી ક્લાસની બેંચ પર ઢળી પડ્યાં હતાં. તેમને સયાજી હોસ્પિટલમાં ખસેડાતાં તબીબોએ મૃત જાહેર કર્યાં હતાં. બનાવથી સરકારી કર્મીઓમાં હડકંપ મચ્યો હતો. જ્યારે મૃતકના પરિવારે આક્રોશ વ્યક્ત કર્યો કે, હૃદયની બીમારી હોવાની જાણ કરવા છતાં ફરજ અપાઈ હતી. સુભાનપુરા સરકારી વસાહતમાં રહેતાં ઉષાબેન સોલંકી ગોરવા મહિલા આઈટીઆઈમાં 8 વર્ષથી સિનિયર ક્લાર્ક હતાં. તેમના પતિ કાર ચાલક છે અને પુત્ર ક્રિષ્ના કોમર્સના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. સરકાર દ્વારા મતદાર યાદી સુધારણાની જવાબદારીમાં 3 દિવસથી ઉષાબેનને સહાયકની ફરજમાં મૂકાયાં હતાં. પોતાની બીમારીની ઉચ્ચ અધિકારીઓને જાણ કરવા છતાં ફરજમાં મૂકાયાં હતાં. શનિવારે કડક બજાર ખાતે પ્રતાપ હાઇસ્કૂલમાં કામગીરીની વહેંચણી માટે મૂકાયાં હતાં. જ્યાં એમજીવીસીએલના ગોપાલભાઈ કામગીરીની વહેંચણી કરવા સુપરવાઇઝર તરીકે આવવાના હતા. જેમની રાહ જોતાં 10:30 વાગ્યાના અરસામાં ક્લાસ રૂમની બેંચ પર બેઠાં હતાં ત્યારે ઢળી પડ્યાં હતાં. આ અંગે પરિવારને જાણ થતાં હોસ્પિટલે પહોંચ્યાં હતાં. બીજી તરફ શહેર-જિલ્લા શૈક્ષણિક સંઘ-સંકલન સમિતિએ કલેક્ટરને આવેદન આપી માગ કરી કે, કામ પૂરું કરવા દબાણ ન અપાય. ઉપરાંત સાંજે મોડે સુધી કર્મીઓને બેસાડી ન રાખવા. મૃતક કર્મીના પરિવારને 1 કરોડની સહાય આપો. નોકરીની સાથે વધારાની ફરજથી ચિંતિત હતાં ઉષાબેનને હૃદયની બીમારી હોવા અંગેની જાણ અધિકારીઓને કરવામાં આવી હતી. તેમ છતાં તેમને ફરજ સોંપાઈ હતી. ઉષાબેન નોકરીની ફરજ, ઘરનાં કામની સાથે સાથે વધારાની આવી પડેલી જવાબદારીને કારણે ચિંતામાં રહેતાં હતાં. યોગ્ય રીતે કામગીરીની વહેંચણી થવી જોઈએ, જેથી કર્મચારીઓ પર ભારણ ન રહે. > ઈન્દ્રસિંહ સોલંકી, મૃતકના પતિ હું આવી અને અચાનક પાટલી પડી હોય તેવો અવાજ આવ્યોહું શાળામાં પ્યૂન છું. સવારે પાટલી પડી હોય તેવો અવાજ આવ્યો હતો. અમારા શિક્ષક પ્રજાપતિ સાહેબ અને અન્ય લોકોએ દોડી આવી જોયું તો મહિલા કર્મી બેભાન થઈ ઢળી પડ્યાં હતાં. તેમણે મને મદદ કરવાનું કહ્યું અને હાથ-પગ ઘસી તેને જાગૃત કરવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે બેશુદ્ધ હતાં. અન્ય કર્મીઓએ 108ને કોલ કર્યો હતો, પરંતુ તેની રાહ જોવા કરતાં ફોર્મ ભરવા આવેલા રિક્ષા ચાલકની મદદથી હું મહિલાને સયાજી હોસ્પિટલમાં લઈ ગઈ હતી. મહિલા સિવાય અન્ય 6 બીએલઓ શાળામાં હતા. (વર્ષાબેન રાજપૂત સાથે થયેલ વાતચીતના આધારે) બીએલઓની કામગીરી ઘટે તેવા પ્રયાસ સતત ચાલુ છેબીએલઓની કામગીરી ઘટે તેવા પ્રયાસો ચાલુ છે. વિવિધ કેન્દ્રો પર ડિજિટલાઇઝેશનનું કામ હાથ ધરાયું છે. કોલેજના વિદ્યાર્થી પણ મદદરૂપ થઇ રહ્યા છે. લોકો પણ બીએલઓને સહયોગ કરે. 15 દિવસમાં તણાવ મુક્ત રીતે કામ પૂરું થાય તેવા પ્રયાસો છે. બીએલઓએ રાતે કામ કરવું પડે તેવા પ્રયાસ છે. ફોર્મના ડિજિટલાઇઝેશનનું અન્ય કર્મી પાસે કરાવાય છે.> ડો.અનિલ ધામેલિયા, કલેક્ટર રાત્રે મેસેજ કરી મળસ્કે 3 વાગ્યા સુધી કામ કરવા સૂચના અપાય છેઅનેક બીએલઓ દ્વારા તેમને મોડી રાત સુધી કામગીરી કરવાની સૂચના અપાતી હોવાની વ્યથા ઠાલવવામાં આવી હતી. પ્રતાપ હાઇસ્કૂલમાં બીએલઓએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર મોડી રાત્રે મેસેજ આવે છે અને મળસ્કે 2થી 3 વાગ્યા સુધી કામ કરવાનું જણાવતી સૂચના આપવામાં આવે છે. જે અંગેના સંદેશા પણ તેમણે બતાવ્યા હતા. જ્યારે અન્ય કર્મચારીઓએ મોડી રાત્રે કામ કરતા હોય તેવા ફોટોગ્રાફ્સ પણ અપલોડ કર્યા હતા. રોજિંદી કામગીરી કરતાં અચાનક આવી પડેલી આ જવાબદારી તેમને માનસિક રીતે વ્યથિત કરતી હોવાનું જણાવ્યું હતું. બીએલઓનો બળાપો અમે ત્રણ વખત રજૂઆત કરી, પરંતુ અત્યાર સુધી કોઇ કાર્યવાહી ન કરાઈ:કોગ્રેસશહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વીજ જોશીએ જણાવ્યું કે, કોંગ્રેસ દ્વારા સરની કામગીરી લંબાવવા અને બીએલઓને પડતી મુશ્કેલી સંદર્ભે 3 વાર રજૂઆતો કરી હતી, છતાં કાર્યવાહી કરાઇ નથી. 7 નવેમ્બરે કરેલી રજૂઆતમાં બીએલઓને વધારાની ટ્રેનિંગની જરૂરિયાત હોય અને 31 માર્ચ,2026 સુધી હાઉસ ટુ હાઉસની કામગીરી કરવા સમય વધારવા માગ કરાઇ હતી. 12 નવેમ્બરે પણ પડકારો વિશે રજૂઆત કરાઇ હતી. 19 નવેમ્બરે પણ બીએલઓ પર સરની કામગીરી માટે દબાણ હોવાની રજૂઆત કરી હતી.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:09 am

માગણી:સેક્ટર-5માં 5 વર્ષથી બંધ સ્કૂલનું મતદાન બુથને સિનિયર સિટીઝન હોલમાં રાખો

નગરના સેક્ટર-5ની પ્રેરણા સ્કૂલ બંધ થયાને પાંચ વર્ષ જેટલો સમય લાગ્યો છે. આથી તેનું મતદાન બુથને કારડિયા રાજપુત સ્કુલમાં સીફ્ટ કરવામાં આવ્યું છે. સેક્ટરવાસીઓને મતદાન બુથ સુધી પહોંચવામાં દોઢેક કિલોમીટર સુધી ચાલવાની ફરજ પડતા હાલાકી વેઠવાની ફરજ પડી રહી છે. ત્યારે સ્કૂલ બંધ થવાથી મતદાન બુથને સિનિયર સિટીઝન હોલમાં શરૂ કરવામાં આવે તેવી માગણી સાથે સેક્ટર-5 વસાહત મંડળના પ્રમુખ કેસરીસિંહ બિહોલાએ કલેક્ટરને રજુઆત કરી છે. નગરના સેક્ટર-5માં આવેલા એ, બી, સી વિભાગને ધ્યાનમાં રાખીને મતદાન બુથો ફાળવવામાં આવ્યા હતા. તેમાં એ વિભાગના મતદારો માટે પ્રેરણા સ્કુલમાં, બી વિભાગના મતદારો માટે સરકારી દવાખાનું, સી વિભાગના મતદારો માટે કારડિયા રાજપુત સ્કૂલ હતા. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી પ્રેરણા સ્કૂલ બંધ થઇ જવાથી તે શાળાનું મતદાન બુથને કારડિયા રાજપૂત સ્કુલમાં રિફર કરવામાં આવ્યું છે. આથી સેક્ટર-5ના એ વિભાગના રહિશોને કારડિયા રાજપૂત સ્કુલમાં જવા માટે દોઢેક કિલોમીટરનું અંતર કાપવાનું હોવાથી વાહન વિના જઇ શકાતું નથી. તેમાંય ઉંમરલાયક મતદારોને પારાવારની હાલાકી વેઠવાની ફરજ પડી રહી છે. ત્યારે મતદારોને પડતી હાલાકીને ધ્યાનમાં રાખીને મતદાન મથકોના સેન્ટરોમાં ફેરફાર કરવામાં આવે તેવી માગણી સેક્ટર-5 વસાહત મંડળે કરી છે. તેમાં સેક્ટર-5ના એક વિભાગના મતદારો માટે સરકારી આરોગ્ય કેન્દ્ર (દવાખાના)માં તથા એક બુથ પાણીની ટાંકીના મકાનમાં રખાય જ્યારે વિભાગ-સીના મતદારો માટે કારડિયા રાજપૂત સ્કૂલ રાખવામાં આવે અને વિભાગ-બીના મતદારો માટે સિનિયર સિટીઝન હોલ ખાતે રાખવામાં આવે તો સેક્ટરોના તમામ મતદારોને અનુકુળતા રહેવાથી રાહત રહેશે તેવી માંગણી સાથે સેક્ટર-5 વસાહત મહામંડળના પ્રમુખે જિલ્લા કલેક્ટરને રજુઆત કરીને યોગ્ય ન્યાયની આશા રાખી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:08 am

હુમલો:કલોલના જાસપુરમાં તાપણી કરતા યુવક ઉપર છરીથી જીવલેણ હુમલો

કલોલ તાલુકાના જાસપુર ગામમાં ગઇ રાત્રે તાપણી કરી રહેલા યુવક પર તેના જ ગામના એક શખ્સે છરી વડે જીવલેણ હુમલો કરતા સનસનાટી મચી ગઇ છે. સ્કૂલ બસની નોકરીની અદલા બદલી બાબતે ઉશ્કેરાઈને શખ્સે યુવકના પેટમાં છરી મારી દીધી હતી. આ અંગે સાંતેજ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. કલોલ તાલુકાના કિશન શંકરજી ઠાકોર ગત તા. 21 નવેમ્બરે રાત્રિના ગામમાં તાપણી કરતા હતા. ત્યારે તેમના ગામમાં રહેતો સુનિલ રમણજી ઠાકોર ત્યાં આવી જેમ ફાવે તેમ ગાળો બોલી તારે લીધે કે મારી નોકરી બદલાઈ ગઈ છે. તું નોકરી બંધ કરી દેજે નહીં મારામારી કરી ધમકી આપી હતી.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:07 am

જુગારીઓ રંગે હાથ ઝડપાયા:રકનપુરમાં જુગાર રમતા 15 વ્યક્તિને પોલીસે ઝડપી લીધા

કલોલ તાલુકાના રતનપુર ગામે આવેલ પાન પાર્લર પાછળ કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે. તેવી બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડો પાડયો હતો. જેમા જુગાર રમતા ૧૫ શખ્સોને પચ્ચીસ હજાર ની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા. કલોલ તાલુકા પીઆઇ આર આર પરમાર ની સૂચનાના પગલે પોલીસ સ્ટાફ જુગાર તેમજ દારૂની પ્રવૃત્તિઓ અટકાવવા માટે સધન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જેના પગલે તાલુકા સ્ટાફ ના માણસો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન એએસઆઈ વિનોંદસિંહ, હે.કો વિષ્ણુભાઈ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે તાલુકાના રકનપુર ગામે આવેલ મહાકાળી પાન પાર્લર પાછળ કેટલાક શખ્સો જાહેરમાં પાના પત્તીનો જુગાર રમી રહ્યા છે. જે બાતમી ના આધારે પોલીસે દરોડો પાડયો હતો.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:07 am

વિદ્યાર્થીઓને હાલાકી:સાદરામાં આંગણવાડી સામેના રેતીના ઢગલાં હટાવાયા

સાદરાની આંગણવાડીની બહાર નદીના રેતીના ઢગલાં કરી દેવામાં આવ્યા હતા. આથી આંગણવાડીમાં બાળકોને મુકવા તેમજ લેવા જવામાં વાલીઓને હાલાકી વેઠવાની ફરજ પડતી હતી. વધુમાં બાળકોના પગરખાં વાટે નદીની રેત આંગણવાડીમાં જવાથી આંગણવાડીના વાલીઓ અને બાળકોને તકલીફ પડતી હતી. ત્યારે આ મામલે દિવ્ય ભાસ્કરમાં ફોટો સાથે સમાચાર પ્રસિદ્ધ થતાં યુદ્ધના ધોરણે આંગણવાડીની સામે પડેલી નદીના રેતીના ઢગલાંને દુર કરાયા છે. આંગણવાડીની રેતીના ઢગલાં દુર થતાં બાળકો અને વાલીઓને અવર જવરમાં રાહત થઇ છે. આ સમાચાર દિવ્ય ભાસ્કરમાં તા. 19 નવેમ્બરે છપાયા હતાં.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:06 am

વેધર રિપોર્ટ:નગરનું લઘુતમ તાપમાન 16.2 ડિગ્રી નોંધાયું

છેલ્લા બે દિવસથી ઠંડીનું જોર ઘટતા લઘુતમ તાપમાનનો પારો ઊંચકાયો છે. શનિવારે નગરનું લઘુતમ તાપમાન 16.2 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે તેની સામે મહત્તમ તાપમાનમાં કોઇ નોંધપાત્ર વધારો નહીં થતાં શનિવારે નગરનું મહત્તમ તાપમાન 31.4 ડિગ્રીએ અટક્યું હતું. આથી નગરના દિવસ અને રાત્રીના તાપમાન વચ્ચે 15.2 ડિગ્રીનો જોવા મળ્યો છે. જોકે ઉત્તરીય ઠંડા પવનો હાલમાં બંધ થતાં ઠંડીનું જોર નરમ પડ્યું છે. પરંતુ હવામાન નિષ્ણાંતોના મતે આગામી સમયમાં ઠંડીનો નવો રાઉન્ડ આવશે. તેની વચ્ચે નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 62 ટકા અને સાંજે 48 ટકા નોંધાયું છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:04 am

24 કલાક પાણીની યોજનાના લીરાં ઉડ્યા:પાણી સવારે 9 કલાકે આપ્યા બાદ પાંચેક કલાકમાં બંધ

છેલ્લા ત્રણ માસમાં નગરવાસીઓને 24 કલાક પાણી આપવાની બે વખત જાહેરાત કરવા છતાં તેની અમલવારી ઠેરની ઠેર રહેવા પામી છે. જોકે 24 કલાક પાણી સવારથી આપવાને બદલે 9થી 11 કલાકમાં ગમે ત્યારે શરૂ કરવામાં આવે છે. ત્રણથી ચાર કલાક પાણી આપ્યા બાદ બંધ થઇ જાય છે. આથી નગરવાસીઓને પીવાના પાણી માટે હાલાકી વેઠવાની ફરજ પડી રહી છે. ત્યારે 24 કલાક પાણી યોજના શરૂ કરાય તે પહેલાં સવારે અપાતું રેગ્યુલર પાણી પુરતા ફોર્સથી આપવામાં આવે તો નગરવાસીઓને પડતી હાલાકીમાંથી છુટકારો મળશે. રાજ્યના પાટનગરને સ્માર્ટસીટી પ્રોજેક્ટ અંતર્ગત 24 કલાક પાણીનો પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ માસમાં 24 કલાક પાણી યોજના શરૂ કરાશે તેવી બે વખત જાહેરાત કર્યા બાદ તેની અમલવારી કરવામાં આવતી નથી. પરંતું તેને પરિણામે સવારે પુરતા ફોર્સથી આપવામાં પાણીમાં ઘટાડો કરી દેવામાં આવતા લોકોને પીવાના પાણીની હાલાકી વેઠવાની ફરજ પડી છે. વધુમાં 24 કલાક પાણી યોજના અંતર્ગત છેલ્લા વીસેક દિવસે ગમે તે દિવસે સવારે 9 કલાકથી 11 કલાક સુધીમાં ગમે ત્યારે શરૂ કરવામાં આવે છે. ત્યારબાદ બાદ ત્રણથી પાંચ કલાકમાં ગમે ત્યારે પાણી બંધ થઇ જાય છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:04 am

દારૂનો મોટો જથ્થો પકડાયો:માણસા શહેરમાં 2.83 લાખનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

માણસા શહેરમાં વાવ દરવાજા વિસ્તારમાં રહેતા બે ઇસમો ભાગીદારીમાં વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો સંગ્રહ કરી તેનું વેચાણ કરે છે, જે બાતમી આધારે ગતરોજ મોડી સાંજે માણસા પોલીસે આ બંનેના ઘરે તલાસી લેતા ત્યાંથી 2.83 લાખ ના વિદેશી દારૂ અને બીયર 664 નંગ મળ્યા હતા. જ્યારે તેનો સંગ્રહ કરનાર બંને બુટલેગર હાજર મળી ન આવતા પોલીસે તમામ મુદ્દામાલ કબજે લઈ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. માણસા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.એ.ગોહિલ, એએસઆઈ ઋષિકેશભાઇ સહિતનો સ્ટાફ ગઈકાલે સાંજે પોલીસ સ્ટેશન હાજર હતો. તે વખતે હેડ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ અને કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહને સંયુક્ત ચોક્કસ પાકી બાતમી મળી હતી કે, માણસામાં આવેલ વાવ દરવાજા વિસ્તારમાં મકવાણા વાસમાં રહેતા અજયજી છોટાજી ઠાકોર અને વિશાલજી અમૃતજી ઠાકોર બંને જણા ભાગીદારીમાં વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો પોતાના ઘરે ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી તેનું વેચાણ કરે છે. જે બાતમી આધારે પોલીસે તેમના બંનેના ઘરે તલાસી લેતા વિદેશી દારૂના 464 નંગ અને બિયરના 200 નંગ ટીન મળી આવ્યા હતા, બંને ઇસમો ફરાર થઈ ગયા હતા. જેથી પોલીસે કુલ 2,83,375 રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરના જથ્થો કબજે લઈ ફરાર બંને સામે ગુનો નોંધ્યો હતો.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:03 am

વાર્ષિક અધિવેશન:જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનનો વાર્ષિક અધિવેશન કાર્યક્રમ યોજાયો

કલોલ ગણેશ પાર્ટી પ્લોટ ખાતે ફેડરેશન 3સી ના પ્રમુખ કિરણભાઈ સોનીના અધ્યક્ષ પદે જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન ફેડરેશન 3સી નું વાર્ષિક અધિવેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા કન્વેશન ચેરમેન અને સ્પેશિયલ કમિટી મેમ્બર કૌશિકભાઈ બી.પટેલ, ફેડરેશન કન્વેન્શન સેક્રેટરી સંજયભાઈ વ્યાસ, સોવિનિયર ચેરમેન ભાવેશભાઈ આર પટેલ, કન્વેન્શન ટ્રેઝરર પ્રવીણભાઈ બારોટ તથા સર્વ કાઉન્સિલર મિત્રો અને સભ્યોની એક મહિનાની મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ચુનીલાલ દુર્લભજી સોની, ઉદ‌્ઘાટક નરૂદ્દીનભાઈ સેવવાલા ડેપ્યુટી વર્લ્ડ ચેરમેન જા.વે.ફા. મુંબઈ અને સ્પેશિયલ ઓફિસર તેજાભાઈ કાનગડ ગાંધીધામથી ઉપસ્થિત રહી જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશનનો હેતુ અને તેના કાર્યોની માહિતી સાથે આશીર્વાદ આપી સ્વભાવમાં અભિવૃદ્ધિ કરી હતી. તેમજ રસિકભાઈ સુથાર, કાંતિભાઈ પટેલ (સેન્ટ્રલ મેમ્બર) બાબુભાઈ પટેલ, વ્રજેશભાઈ ભાવસાર (સ્પેશિયલ કમિટી અને મેમ્બર), અંબાલાલભાઈ એમ પટેલ પૂર્વ સ્પેશિયલ કમિટી મેમ્બર), સિહોર થી આમંત્રિત રાજેશભાઈ દેસાઈ (સેન્ટ્રલ કમિટી મેમ્બર હાજર રહી માર્ગદર્શન અને કામગીરીનો અહેવાલ આપ્યા હતા.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:02 am

કેરિયર કાઉન્સેલિંગ વર્કશોપનું આયોજન:કંપની દ્વારા ધો.10ના વિદ્યાર્થીઓ માટે કેરિયર કાઉન્સેલિંગ વર્કશોપ યોજાયો

જે.કે. લક્ષ્મી સિમેન્ટ લી. દ્વારા શેરીસા ખાતે આવેલ શ્રીમતી ડી.જી. શાહ હાઈસ્કૂલમાં ધોરણ ૧10 ના વિદ્યાર્થીઓ માટે વિશેષ કરિયર કાઉન્સેલિંગ વર્કશોપનું આયોજન કરાયું હતું. આ વર્કશોપનું મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને વિવિધ વ્યાવસાયિક માર્ગદર્શિકા અને ભવિષ્ય માટે યોગ્ય પ્રેરણા પૂરી પાડવાનો હતો. આ કાર્યક્રમમાં, નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને તેમના ભવિષ્ય માટે યોગ્ય અભ્યાસ અને કારકિર્દી પસંદગીઓ અંગે માર્ગદર્શન આપ્યું હતુ. વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રોમાંના વ્યાવસાયિક વિકલ્પો, યુનિવર્સિટી અભ્યાસ અને પ્રતિસ્પર્ધા પરીક્ષાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 89 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:00 am

યુવકનું મોત:ધોળાપીપળા બ્રિજ પાસે મિક્ષર ટ્રક ચાલકે રિવર્સમાં બાઈકને અડફેટે લેતા યુવકનું મોત

નવસારીના ધોળાપીપળા પાસે અમદાવાદથી મુંબઈ જતા ટ્રેક પર મિક્ષર ટ્રક રિવર્સમાં લેતી વેળા પાછળ આવતા બાઇકને અડફેટે લેતા યુવાનનું મૃત્યુ થયું હતું. નવસારી રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં ધોળાપીપળા બ્રિજ ચડતા પહેલા એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. શાહુ ગામે રહેતા અને ફરિયાદી અમિતસિંહ નરેન્દ્રસિંહ પઢીયાર અને રોનિત અરવિંદભાઈ પટેલ બાઇક (નં. GJ-21-BN-1476) પર તા. 21 નવેમ્બરના રોજ સાંજે 6.50 કલાકના અરસામાં અમદાવાદથી મુંબઈ જતા ટ્રેક પર ધોળાપીપળા બ્રિજ નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે મિક્ષર ટ્રક (નં. GJ-05- CY-5300)ના અજાણ્યા ચાલકે વાહન રિવર્સમાં (પાછી) ચલાવી રોનિતની બાઈકને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં ટ્રક બાઈક પર ચઢી જતા અમિતસિંહને નાની-મોટી ઈજા થઈ હતી, જ્યારે બાઈક ચાલક રોનિત પટેલને ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક પોતાનું વાહન સ્થળ પર મૂકી નાસી ગયો હતો. આ બનાવની ગ્રામ્ય પીએસઆઇ એન.એ. પટેલ તપાસ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:00 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:જામનગરમાં મહિલા બીએલઓને ભારે હાલાકી, મધ્યરાત્રિના ફોન અને મેસેજ

જામનગરમાં મતદાર યાદી (એસઆઈઆર) ખાસ સઘન સુધારણાની કામગીરી ચાલી રહી છે. જેમાં બીએલઓ તરીકે મુકવામાં આવેલા શિક્ષિકોના ફોર્મમાં નંબર જાહેર કરવામાં આવતા મહિલા બીએલઓને મધ્યરાત્રિના કોલ્સ આવતા હોવાથી ભારે મુશ્કેલી પડી રહી છે. જામનગરમાં મતદાર યાદી સુધારણાની ચાલતી કામગીરીને લઈને બીએલઓની હાલત દયનીય બની ગઈ છે. મતદારોના ફોર્મમાં બીએલઓના મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યા છે. અમુક મહિલા શિક્ષક બીએલઓને મતદારો દ્વારા બિનજરૂરી ફોન કોલ્સ કરીને મેસેજ કરીને ફોર્મની વિગતો પુછવામાં આવે છે. તો અમુક મતદારો તો મધ્યરાત્રિના પણ ફોન કરે છે. તેમજ બીએલઓને આકસ્મિક માંદગી, પારિવારિક માંદગી અને સામાજિક પ્રસંગોએ ખાસ પરિસ્થિતિમાં જો કોઈ કર્મચારીઓને રજા તેમજ આંશિક રજાની જરૂરિયાત ઉભી થાય તો પણ મળતી નથી. કોર્પોરેટર કંપનીઓના માર્કેટીંગ સ્ટાફની માફક બીએલઓ પાસે ટાર્ગેટ બેઈઝ કામ લેવા અંગે સુચનાઓ અને વારંવાર ડેટા માગી અને સદર કામગીરીનું દબાણ કરવામાં આવે છે. જેના કારણે કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસરો પડે છે. તેમજ બીએલઓ તરીકે ફરજ બજાવતા શિક્ષકો દ્વારા ફિલ્ડમાં જઈ તૈયાર કરાયેલા હાર્ડ કોપીને ચુંટણીપંચની સાઈટ ઉપર અપલોડ કરવાની કામગીરી પણ કરવાની છે. જેથી શિક્ષકોને મોડી રાત સુધી ઓનલાઈન ડેટા અપલોડ કરવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. જેથી બીએલઓની કામગીરી થોડી હળવી કરવામાં આવે તો કામગીરીમાં સરળતા રહે તેવી માંગ છે. જાહેર નંબરથી મહિલાઓને બિનજરૂરી ફોનબીએલઓ તરીકે મહિલા શિક્ષિકાઓને પણ મુકવામાં આવી છે. ફોર્મમાં તેમના મોબાઈલ નંબર પણ જાહેર કરવામાં આવ્યા હોવાથી અમુક મતદારો મોડી રાત્રિના ફોન કરવામાં આવે છે અને ફોર્મમાં ભરવાની બિનજરૂરી વિગતો પુછવામાં આવે છે. જેના કારણે મહિલા બીએલઓને ભારે મુશ્કેલીઓ પડી રહી છે. > એક મહિલા શિક્ષક ઉપરી અધિકારીઓ દ્વારા કામનું દબાણ જામનગરમાં મતદારયાદી સુધારણાની કમગીરીમાં બીએલઓ પાસેથી ટાર્ગેટ બેઈઝ કામ લેવા અંગે સુચનાઓ અને વારંવાર ડેટા માંગી અને કામગીરીનું દબાણ ઉભું કરવામાં આવે છે. જેના કારણે કર્મમચારીઓના માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસરો પડે છે.> સંજયભાઈ મેસિયા (શિક્ષક) ડેટાઓ અપલોડ કરવામાં ‎મધ્યરાત્રિ સુધી કામગીરી‎ બીએલઓ તરીકે કામગીરી કરતા શિક્ષકોને‎‎મતદારોને ઘરે ઘરે ફોર્મ‎‎પહોંચાડ્યા પછી, મોટા‎‎ભાગના ફોર્મ ભરીને પરત‎‎મેળવવામાં આવી રહ્યા છે.‎‎જે ફોર્મના ડેટાઓ પાછી‎‎ઓનલાઈન અપલોડ‎‎કરવાની હોય છે. જે કાર્ય‎માટે મધ્યરાત્રિ સુધી ઓનલાઈન કામગીરી કરવી‎પડે છે. તેમ છતાં કામગીરી થતી નથી. > ચંદ્રકાંત‎ખાખરીયા (શિક્ષક)‎

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:00 am

રેલ્વે GM દ્વારા કામગીરીની સમીક્ષા કરી સૂચનો કરાયા‎:રેલવેના જનરલ મેનેજર જામનગરની ટૂંકી મુલાકાતે

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર જામનગર ની ટૂંકી મુલાકાતે આવ્યા હતા જેમને જામનગર રેલ્વે સ્ટેશન અંતર્ગત ચાલતા તમામ પ્રોજેક્ટ ની સમીક્ષા કરી અને લાગતા વળગતા અધિકારીઓને જરૂરી સૂચના આપી માર્ગદર્શન આપ્યું હતું. રાજકોટ ડિવિઝન અંતર્ગત આવતા જામનગર રેલવે સ્ટેશન ની ટૂંકી મુલાકાતે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેકકુમાર ગુપ્તા ગુરુવારે ટ્રેન મારફતે આવ્યા હતા. જેમને જામનગર રેલવે સ્ટેશન અંતર્ગત ચાલી રહેલા તમામ પ્રોજેક્ટની જીણવટ પૂર્વક સમીક્ષા કરી હતી અને સંપૂર્ણ માહિતી મેળવી હતી જે તે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી સમીક્ષા કર્યા બાદ પ્રોજેક્ટ અંતર્ગત લાગતા વળગતા અધિકારીઓને જરૂરી સૂચના આપી અને કાર્ય અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.બેલસાપુર ટ્રેન મારફતે તેઓ અમદાવાદ અને ત્યાંથી મુંબઈ જવા માટે રવાના થયા થયા હતા.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:00 am

તાપમાન:પૂર્વના ભેજવાળા પવનથી ઠંડી વધુ અડધો ડિગ્રી ઘટીને 15એ પહોંચી

ઉત્તર ગુજરાતમાં સતત બીજા દિવસે પૂર્વના ભેજવાળા પવન ફૂંકાતા હવામાનમાં ફેરફાર નોંધાયા હતા. શનિવારે પ્રતિ કલાકે સરેરાશ 3 કિલોમીટર ઝડપે ફૂંકાયેલા પવનના કારણે સવારે ભેજનું સ્તર 70 ટકા અને બપોરે 40 ટકા સુધી નોંધાયું હતું. વધુ ભેજના પ્રભાવને કારણે રાત્રીના તાપમાનમાં અડધા ડિગ્રીનો વધારો થતા ઠંડીનો પારો લગભગ 15 ડિગ્રીની આસપાસ રહ્યો હતો, જેના કારણે લોકો ફુલગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.હવામાન વિભાગના અનુમાન મુજબ, રવિવારે ઉત્તર ગુજરાતમાં ઠંડી વધુ 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે બીજી તરફ, દિવસના તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાતાં સતત બીજા દિવસે બપોરનું તાપમાન 32 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. હવામાન વિભાગના અનુમાન મુજબ, રવિવારે ઉત્તર ગુજરાતમાં ઠંડી વધુ 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે. સાથે જ વધુ ભેજ પ્રબળ બનતાં આગામી સપ્તાહ દરમિયાન વાતાવરણ ધુમ્મસછાયું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:00 am

બદલી:હિંમતનગર તા.પં.માં ફરજ બજાવતા કર્મીની 49 જ દિવસમાં ફરી તા.પં.માં બદલી કરાઇ

સાબરકાંઠા જિલ્લા પંચાયત વહીવટી તંત્ર અવારનવાર બદલીઓ મામલે વિવાદમાં આવતું રહે છે. કર્મચારીઓની બદલી તેમની મનમરજી મુજબ થતી હોવાનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. હિંમતનગર તા.પં.માં ફરજ બજાવતા મહિલા મદદનીશ ઈજનેરની જિ.પં. પાણીપુરવઠા વિભાગમાં કરાયા બાદ માત્ર 49 દિવસમાં જ પરત હિંમતનગર તા.પં.માં બદલી કરાતાં કર્મચારીઓમાં અનેક અટકળો વહેતી થઈ છે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તા.1-08-25ના રોજ જિલ્લા પંચાયત હસ્તકના વિવિધ વિભાગમાં ફરજ બજાવતા 7 જેટલા અધિક મદદનીશ ઇજનેરની વહીવટી અનુકૂળતા ખાતર બદલીના હુકમ કરાયા હતા. હિંમતનગર તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા મહિલા મદદનીશ ઇજનેર હિના રાઠોડને જિલ્લા પાણી પુરવઠા શાખા જિ.પં.ખાતે બદલી કરાઇ હતી. જેના 19 જ દિવસ બાદ તા.19-09-25ના રોજ ફરીથી વહીવટી અનુકૂળતા ખાતરની એ જ નોંધ સાથે એક માત્ર મહિલા મદદનીશ ઇજનેરને પરત તાલુકા પંચાયતમાં બદલી કરી અપાઇ હતી. અન્ય કર્મચારીઓને આ વહીવટી અનુકૂળતા ગળે ઉતરતી નથી. બદલીકાંડની ઘટનાથી વહીવટી ગલિયારામાં ગણગણાટ શરૂ થયો છે. અને તલાટીઓની બદલીનું પ્રકરણ પણ યાદ કરાઈ રહ્યું છે. આ પ્રકારની ઉતાવળીયા બદલીઓ જિલ્લા પંચાયતના વહીવટી માળખા અને કાર્યક્ષમતા સવાલ ઉભા કરી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:00 am

પાટનગરમાં સ્નેચરોનો આતંક:ગાંધીનગરમાં ચેઇન સ્નેચરોએ લૂંટ કરવા ભીડ, એકલતા અને રાતના અંધારાનો સહારો લીધો

પાટનગરમાં ચેઇન એકા એક સાપના દરમાંથી બહાર નિકળી જતા હોય છે. મોટા ભાગના બનાવમાં સ્નેચર દ્વારા ઇુંટ કરવા માટે ભીડ, લુંટ અને અંધારાનો સહારો લેવામાં આવ્યો છે. જ્યારે વહેલી સવારે મોર્નિંગમાં કે પછી રાતના સમયે ચાલવા નિકળતા લોકોને શિકાર બનાવ્યા છે. તે ઉપરાંત વૃદ્ધ મહિલાઓને પણ ટાર્ગેટ કરવામાં આવે છે. સામાન્ય રીતે ચારથી પાંચ બાબતોનુ ધ્યાન રાખવામાં આવે તો ચેઇન સ્નેચિંગના બનાવ અટકાવી શકાય છે. 30 ઓક્ટોબરના રોજ કૈલાસબેન બાબુભાઇ પારેખ (રહે, પેથાપુર, ગુરૂકૃપા એપાર્ટમેન્ટ) ગત 30 ઓક્ટોબરની રાતે તેમના ભાઇ પ્રવિણભાઇ અને તેમના ભાઇના મિત્ર સાથે રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની પલ્લીના દર્શને ગયા હતા. વરદાયિની માતાજીના મંદિર પરિસરમાં દર્શન કરવા ભાઇ સાથે લાઇનમાં ઉભા હતા. તે સમયે રાતના આશરે દોઢ વાગ્યાના અરસામાં તેમણે ગળામાં હાથ નાખતા ગળામાં પહેરેલો સોનાનો દોરો આશરે કિંમત 45 હજારનો ગાયબ જોવા મળ્યો હતો. આ બનાવમાં સ્નેચરે ભીડનો લાભ લીધો હતો. બનાવ 1અમદાવાદના સાબરમતીની યુવતી આઇટી એન્જિનિરીંગનો અભ્યાસ કરે છે. ત્યારે ગત 4 ઓગસ્ટના રોજ રાતના સમયે અંબાપુર પાસે કેનાલની સાઇડમાં કાર પાર્ક કરી બંને મિત્રો બેઠા હતા. તે સમયે એક યુવક તેના હાથમાં ટોર્ચ લઇને કાર પાસે આવ્યો હતો. જ્યારે યુવતીની નજીક આવીને તેના ગળામાં પહેરેલી સોનાની આશરે 25 હજારની કિંમતની ચેઇન ઉપર નજર નાખી સીધો જ ગળામાં હાથ નાખ્યો હતો અને ચેઇન તોડી કેબલ બ્રીજ તરફ દોડ્યો હતો. આ બનાવમાં અંધારાનો લાભ લીધો હતો. બનાવ 2ચાર દિવસ પહેલા 20 નવેમ્બરે સૌરભકુમાર અનિતકુમાર ઝા (રહે, સુઘડ) રાતના સમયે જમીને ઘરની બહાર નિકળ્યો હતો અને ચાલતો ચાલતો ફોન ઉપર તેની બહેન સાથે વાત કરતો હતો. તે સમયે યુવક અધિરથ સેલ્સ ગેલેરીની નવી બની રહેલી સાઇટ નજીક પહોંચતા એક કાળા કલરના બાઇક ઉપર બે લુંટારુ આવ્યા હતા અને તેને યુવકના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી લીધો હતો. બનાવ 3ગાંધીનગરના દંતાલી ગામ ગામની સીમમાં આવેલી ગ્રીન વુડ ફેઝ 03 ખાતે રહેતા ભગવતીબેન શૈલેષભાઈ દેસાઈ ગત 13 ઓગસ્ટે દંતાલીથી તેમના ભાઇના ઘરે રાખડી બાંધવા બનાસકાંઠાના શિહોરીના બુકોલી ગામે જવા નીકળ્યા હતા. મહિલા અડાલજ ત્રિ-મંદિર સામે આવેલા અડાલજ મહેસાણા પીકઅપ સ્ટેન્ડ પર બસની રાહ જોઈ રહ્યા હતા. તે દરમિયાન બસ આવતા બેસી ગયા હતા અને બસમાં બેઠા બાદ ખબર બડી કે તેમના ગળામાંથી 80 હજારનો સોનાનો દોરો તોડી લેવાયો હતો. બનાવ 460 વર્ષીય કૈલાશબેન કેદારપુરી ગૌસ્વામી (રહે, ડાભડી રોડ, મણુંદ, પાટણ) ગત 17 ઓગસ્ટના રોજ આંગણજમાં રહેતા તેમના ભાઇને રાખડી બાંધીને વતનમાં પરત આવતા અડાલજ ત્રિ-મંદિર પાસે બસની રાહ જોતા હતા. બસ આવતા તેમા બેઠા બાદ જાણ થઈ કે ગળામાં પહેરેલો સોનાનો દોરો 1.30 લાખનો ગળામાં જોવા મળ્યો ન હતો. બનાવ 5શોભનાબેન જગદીશભાઇ પટેલ (રહે, પ્રમુખનગર ફ્લેટ, મૂળ રહે, કુંડળ, કડી) ઘરકામ કરે છે. ગત 8 સપ્ટેમ્બરે સાંજના સમયે એક્ટિવા લઇને ફ્લોરમીલમાંથી લોટ લઇને એક્ટીવા ઉપર પરત ઘરે જઇ રહ્યા હતા, તે દરમિયાન એક અજાણ્યો યુવક રેઇનકોટ પહેરેલો તેનુ એક્ટિવા લઇને નજીક આવી મહિલાના ગળામાં હાથ નાખી સોનાની ચેઇન તોડી ફરાર થઇ ગયો હતો. બનાવ 6​​​​​​​કુડાસણમાં આવેલી સમન્વય સોસાયટીમાં રહેતા રૂપલબેન જિજ્ઞેશભાઇ તન્ના 22 સપ્ટેમ્બરે શાકભાજીની દુકાને શાક ખરીદવા જઇ રહ્યા હતા. તે દરમિયાન એક બાઇક ચાલક હેલ્મેટ પહેરીને આવ્યો હતો અને ચાલુ બાઇકે જ મહિલાની આશરે 1.75 લાખની કિંમતની ચેઇન ખેંચી ફરાર થઇ ગયો હતો. આ બનાવમાં મહિલાની એકલતાનો લાભ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:00 am

બાકોરનો હેડ કોન્સ્ટેબલ દારૂની હેરાફેરી કરતો પકડાયો:મારૂતિ અલ્ટોમાં રાજસ્થાનથી 112 બોટલ અને ટીન સાથે મહીસાગરમાં ઝડપાયો, સસ્પેન્ડ કરાયો

મહીસાગર જિલ્લામાં કાયદાના રક્ષકો જ કાયદાનો ભંગ કરતા હોવાની વધુ એક ઘટના સામે આવી છે. મહીસાગર જિલ્લાના બાકોર પોલીસ મથકના એક અનાર્મ હેડ કોન્સ્ટેબલને કડાણા તાલુકાની ડીટવાસ પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપી પાડ્યા છે. 112 બોટલ વિદેશી દારૂ અને બીયરના ટીન સાથે પોલીસકર્મી પકડાતાં પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. ફરજમાં બેદરકારી બદલ હેડ કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે. બાતમીના આધારે પકડાયો દારૂનો જથ્થોમળતી માહિતી મુજબ, ડીટવાસ પોલીસ મથકના પીએસઆઇ વી.એ. ચૌધરી અને સ્ટાફને ખાનગી બાતમી મળી હતી કે, રાજસ્થાન તરફથી એક સફેદ કલરની મારૂતિ સુઝુકી અલ્ટો કાર (નંબર: GJ-07-BB-3351)માં વિદેશી દારૂનો જથ્થો ભરીને મોટી રાઠથી રાકાકોટ તરફના રોડે આવનાર છે. આ બાતમીના આધારે પોલીસે રાકાકોટ ચોકડી ખાતે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બાતમીવાળી કાર આવતા તેને રોકવામાં આવી હતી. કારની તલાશી લેતા તેની ડિકીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બે આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયોપોલીસે કારના ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ કનુભાઈ ફતાભાઇ માલીવાડ (ઉ.વ. 43, રહે. લવાણા, તા. ખાનપુર) જણાવ્યું હતું. જ્યારે બાજુની સીટ પર બેઠેલા ઇસમે પોતાનું નામ જયેન્દ્રસિંહ અર્જુનસિંહ સોલંકી (ઉ.વ. 37, રહે. સરાડીયા, તા. વિરપુર) અને પોતે બાકોર પોલીસ સ્ટેશનમાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારમાંથી કાચની બોટલો અને ટીન મળી કુલ 116 નંગ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો, જેની કિંમત રૂ. 12,142 આંકવામાં આવી છે. દારૂ, મોબાઈલ અને કાર સહિત કુલ રૂ. 1,22,142નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે કનુભાઈ માલીવાડ અને હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ સોલંકી વિરુદ્ધ ડીટવાસ પોલીસ મથકમાં પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસપી સફીન હસનની કડક કાર્યવાહીપોલીસ કોન્સ્ટેબલની સંડોવણી સામે આવતા મહીસાગર જિલ્લા પોલીસ વડા (SP) સફીન હસને આ મામલે ગંભીર નોંધ લીધી હતી અને હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ સોલંકીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો. એસપીની કડક સૂચનાથી જિલ્લામાં પ્રોહિબિશન કાયદા હેઠળની કાર્યવાહીને વધુ સઘન બનાવવામાં આવી છે, જેના કારણે બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જોકે, પોલીસકર્મી જ દારૂની હેરાફેરીમાં ઝડપાતા વિભાગની વિશ્વસનીયતા સામે સવાલો ઊભા થયા છે અને આ ઘટના પોલીસ વિભાગમાં ચર્ચાનો મુખ્ય વિષય બની છે.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 10:21 pm

રાજકોટ ક્રાઈમ ન્યૂઝ:વૃધ્ધના ગળામાંથી રૂ.3.50 લાખની સોનાની માળાની ચિલઝડપ કરનાર ઝડપાયો

શહેરના રાજનગર ચોક પાસે આવેલી સોસાયટીમાં વૃધ્‍ધના ગળામાં ઝોંટ મારી રૂ.3.50 લાખની સોનાની માળા ઝુંટવી અજાણ્‍યો શખ્‍સ નાસી જતા વૃધ્‍ધે માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ દ્વારા બાતમીના આધારે ચીલઝડપ કરનાર જય નરેશભાઇ વાઘેલા (ઉ.વ. 25) (રહે. વેરાવળ કારડીયા બોર્ડીંગની પાછળ, હાલ જીવરાજ પાર્ક પાસે અંબીકા ટાઉનશીપ શેરી નં. 3/ડી)ને હેમુ ગઢવી હોલ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો તેની પાસેથી પોલીસે રૂ.3.50 લાખની કિંમતની સોનાની રૂદ્રાક્ષની માળા તથા બાઇક અને મોબાઇલ મળી રૂ.4.15 લાખનો મુદામાલ કબ્‍જે કર્યો હતો. 3 રાજસ્થાની ભાઈઓના રૂ.55 હજાર લૂંટી લેતા 2 શખ્સો ઝડપાયા રાજકોટ શહેરના સામા કાંઠે રહેતાં અને ફર્નિચર કામની મજૂરી કરતાં ત્રણ રાજસ્‍થાની ભાઇઓ રિક્ષામાં બેસી ગોંડલ રોડ ચોકડીએ જતાં હતાં ત્‍યારે રિક્ષાચાલક સહિત બે જણાએ રિક્ષા ભીચરીની વીડીમા લઇ જઇ છરી બતાવી ત્રણ મોબાઇલ ફોન રૂ.55 હજારના લૂંટી લીધા હતાં. આ ગુનાનો ભેદ આજીડેમ પોલીસે ઉકેલી દિવ્‍યેશ ઉર્ફ મેગી સવજીભાઇ મકવાણા-દેવીપૂજક (ઉ.વ.22, રહે. ગોંડલ હાઇસ્‍કૂલ નંબર-31ની શેરી) તથા તેના સાગ્રીત વિશાલ ઉર્ફ વિક્કી ચમનભાઇ પરમાર-દેવીપૂજક (ઉ.વ.25, રહે. કુબલીયાપરા-5, મહાકાળી પાન સામે)ને પકડી લઇ 60 હજારની રિક્ષા તથા ત્રણ અલગ અલગ મોબાઇલ ફોન કબ્‍જે કર્યા છે. આ ગુનો કુવાડવા પોલીસની હદનો હોઇ આરોપી, મુદ્દામાલ ત્‍યાં સોંપાયા છે. વિશાલ ઉર્ફ વિક્કી અગાઉ ભક્‍તિનગર, આજીડેમ, માલવીયાનગર પોલીસમાં દારૂ સીહતના ત્રણ ગુનામાં પકડાયો હતો. પૂર્વ પ્રેમી વિરુધ્ધ પોલીસમાં અરજી કરતી યુવતી પર હૂમલો શહેરના રૈયા રોડ વિસ્‍તારમાં રહેતી અને પ્રાઇવેટ નોકરી કરતી 25 વર્ષની યુવતિ રાતે 3 વાગ્‍યે ઘર પાસે હતી ત્‍યારે હિરેન ઉર્ફ કાનો રાજા નામના શખ્‍સે આવી લોખંડના પાઇપથી હુમલો કરી બેફામ માર મારતાં પગમાં ફ્રેકચર જેવી ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવી છે. હુમલાખોર તેણીનો પુર્વ પ્રેમી હોવાનું અને તે તેણીના રૂપિયા ખાઇ ગયો હોઇ અને હેરાન કરતો હોઇ તેના વિરૂધ્‍ધ પોલીસમાં અરજી કરતાં ખાર રાખી હુમલો કરાયાનું જણાવાયું હતુ. યુવતિએ કહ્યું હતું કે બે વર્ષ પહેલા તેણીનો પરિચય સિવિલ હોસ્‍પિટલ ખાતે કાના રાજા સાથે થયો હતો. ત્‍યારે તેણે પોતે કુંવારો હોવાનું કહ્યું હતું. બાદમાં બંને વચ્‍ચે પ્રેમ થયો હતો. જે તે વખતે તેણીએ તેને 2.70 લાખ જેવી રકમ આપી હતી. લગ્નની લાલચ આપી તેણે શોષણ કર્યુ હતું. પરંતુ બાદમાં તે પરણેલો હોવાની ખબર પડી હતી અને તેણે લગ્નની ના કહી દીધી હતી. આ પછી તેણે જે તે વખતે પોલીસમાં અરજી કરતાં સમાધાન થતાં મારા રૂપિયા તેણે પરત આપી દીધા હતાં.ત્‍યારબાદ ફરીથી તે પાસેથી 1.69 લાખ લઇ ગયો હતો. આ રકમ હવે તે પરત ન દેતો હોવાથી પોલીસમાં અરજી કરી હતી. તેનો ખાર રાખી હુમલો કર્યો હતો. યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. રામવન પાસે ખાનગી ટ્રાવેલ્સ પર પથ્થરમારો શહેરના ખોખડદળથી રામવન તરફ જતાં બ્રીજ પર વધુ એક વખત ખાનગી બસ ઉપર પથ્‍થરમારાની ઘટના બનતાં પોલીસને રજૂઆત કરવામાં આવી છે. ખાનગી ટ્રાવેલ્‍સ એસોસીએશનના પ્રમુખ દશરથભાઈ વાળાએ કહ્યું હતું કે રાત્રીના 11 વાગ્‍યાં બાદ રાજકોટ-અમદાવાદ હાઇવે પર આજીડેમના પૂલ નજીક રામવન પાસે વડોદરા, સુરત, પુના અને મુંબઈ જતી પેસેન્‍જરોથી ભરેલી અલગ અલગ ટ્રાવેલ્‍સની કુલ 8 બસ પર પથ્‍થરમારો કરવામાં આવ્‍યો હતો. પથ્‍થરમારો થતાં આઠેય બસના કાચ ફૂટી ગયા હતા. ચાલુ બસે પથ્‍થરમારો થતાં કાચ ફૂટી ગયા હતા. ધડાધડ પથ્‍થરના ઘાથી બસોના કાચ ફૂટતાં ડ્રાઇવર-ક્‍લીનર અને મુસાફરોમાં ભય ફેલાઇ ગયો હતો. ગત રાતે જામનગરથી સુરત જતી શ્રી પ્રમુખ રાજ ટ્રાવેલ્‍સ, કાલાવડથી સુરત જતી ક્રિષ્‍ના ટ્રાવેલ્‍સ, ઉપલેટાથી સુરત જતી મધુરમ ટ્રાવેલ્‍સ અને દર્શન ટ્રાવેલ્‍સની બસ પર પથ્‍થરમારો કરવામાં આવ્‍યો હતો. આજીડેમ પોલીસ મથકના પીઆઇ સમક્ષ હાલ રજૂઆત કરવામાં આવી છે. નોકરીના નામે ફ્રોડ થતા યુવતિનો આપઘાતનો પ્રયાસ, મંગેતરે ફરિયાદ નોંધાવી શહેરના રેસકોર્ષ લવ ગાર્ડનમાં એક યુવતિએ તાવની બિમારીની વધુ પડતી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરી હતી. નર્સિંગની નોકરીના નામે ફ્રોડ થતાં તેણીએ આ પગલુ ભર્યુ હતું.જાણવા મળ્‍યા મુજબ રાજકોટ નજીકના ગામની 23 વર્ષની યુવતિએ રેસકોર્ષ લવ ગાર્ડમાં વધુ ટીકડી પી જતાં ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડાઇ હતી. તબિબે આ અંગે પોલીસ કેસ જાહેર કર્યો હતો. યુવતિની સગાઇ થઇ ચુકી છે. જેની સાથે સગાઇ થઇ એ યુવાને કહ્યું હતું કે મારી મંગેતરે ઓનલાઇન જાહેરાત વાંચી હતી. જેમાં ભણવા ગયા વિના એટલે કે ઘરે બેઠા અભ્‍યાસ કરી નર્સિંગનું સર્ટિફિકેટ આપવાની વાત હોઇ સંપર્ક કર્યો હતો. બાદમાં આ ફોન નંબર પર વાત કરનારે પોતાને યાજ્ઞિક રોડ પર હીરા પન્‍ના પાસેની ઓફિસે બોલાવી રૂ.20 હજાર લઇ લીધા હતાં. પરંતુ બાદમાં સર્ટિફિકેટ ન મળતાં અને પૈસા પણ પાછા ન અપાતા તેમજ આ શખ્‍સ ફોન બંધ કરી ગાયબ થઇ ટેન્‍શનના કારણે મારી મંગતેરે આ પગલુ ભર્યુ હતુ.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 10:15 pm

દિલ્હીમાં શહીદ વીરાંગના જલકારીબાઈની જન્મજયંતિની ઉજવણી:અખિલ ભારતીય કોલી - કોળી સમાજ દ્વારા આયોજન, બોટાદના આગેવાનો હાજર રહ્યા.

દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા શહીદ વીરાંગના જલકારીબાઈની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ મડી નગર-૨૧૨ વિસ્તારમાં ઉમંગભેર યોજાયો હતો, જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના બોટાદ જિલ્લામાંથી પણ સમાજના અગ્રણી આગેવાનોએ હાજરી આપી હતી. ગઢડા કોળી સમાજના પ્રમુખ કિશોર વેલાણીએ મંચ પરથી શાયરી દ્વારા સમાજને એકતા અને સંકલ્પનો સંદેશ આપ્યો હતો. તેમની સાથે બોટાદના અલ્પેશ ડાભી સહિત અનેક આગેવાનોની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી હતી. આ ઉજવણી કાર્યક્રમમાં વીરાંગના જલકારીબાઈના શૌર્ય અને બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમો, સંગઠનશક્તિ અને સમાજ જાગૃતિના સંદેશાઓ આપતા કાર્યક્રમો યોજાયા હતા. ઉપસ્થિત સૌએ સમાજની સર્વાંગી પ્રગતિ, સંગઠન અને યુવા પેઢીમાં જાગૃતિ લાવવાના સંકલ્પ સાથે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. દિલ્હી ખાતે યોજાયેલા આ કાર્યક્રમ અંગે ગઢડા કોળી સમાજના પ્રમુખ કિશોર વેલાણીએ માહિતી આપી હતી.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 9:59 pm

સુરત મનપાનો 45 કરોડનો સિક્યુરિટી કોન્ટ્રાક્ટ વિવાદમાં:ખોટા દસ્તાવેજો રજૂ કરનારી 3 એજન્સીઓ સામે સામે કોર્ટની પિટિશન ડિસ્પોઝ છતાં કોન્ટ્રાક્ટ ચાલુ

સુરત મહાનગરપાલિકામાં 45 કરોડના મસમોટા સિક્યુરિટી કોન્ટ્રાક્ટને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. ટેન્ડર પ્રક્રિયામાં ખોટા દસ્તાવેજો રજૂ કરવા બદલ જે ત્રણ એજન્સીઓ – એમ.કે. સિક્યુરિટી, શક્તિ ફોર્સ, અને શક્તિ સિક્યોરીટી – સામે ફોજદારી કાર્યવાહીની દરખાસ્ત મૂકવામાં આવી હતી, તે દરખાસ્ત હવે આશ્ચર્યજનક રીતે લટકી પડી છે. અગાઉ, આ એજન્સીઓ કોર્ટમાં ગઈ હોવાનું જણાવીને સ્થાયી સમિતિના ચેરમેન દ્વારા આ દરખાસ્ત મુલતવી રાખવામાં આવી હતી. એજન્સીઓને છાવરવામાં આવતી હોવાનો વિવાદ વકર્યો નવા વળાંકમાં, નવેમ્બરના પહેલા અઠવાડિયામાં જ નામદાર કોર્ટે ત્રણેય ઇજારદારોની પિટિશનને ડિસ્પોઝ કરી દીધી છે. કોર્ટે પિટિશન ખારીજ કર્યા બાદ તાત્કાલિક મુલતવી રખાયેલી દરખાસ્ત પર આગળની કાર્યવાહી કરવાની રહેતી હોવા છતાં, તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જેના કારણે, નિયમોનો ભંગ કરનારી એજન્સીઓને છાવરવામાં આવતી હોવાનો અને તેમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાનો વિવાદ વકર્યો છે. બોગસ દસ્તાવેજો વડે લેબર લાઈસન્સ મેળવ્યું હતુંવોચ એન્ડ વોર્ડ વિભાગ દ્વારા સિક્યુરિટી સ્ટાફ મેળવવા માટેના ઓનલાઈન ટેન્ડરમાં કુલ 22 એજન્સીઓએ રસ દાખવ્યો હતો. તપાસ દરમિયાન સૈનિક ઈન્ટેલિજન્સ એન્ડ સિક્યોરિટી પ્રા. લિ.ની ફરિયાદના આધારે ચીફ સિક્યુરિટી ઓફિસર જાગૃત નાયકે તપાસ કરી હતી. આ તપાસમાં બહાર આવ્યું હતું કે એમ.કે. સિક્યોરિટી, શક્તિ પ્રોટેક્શન ફોર્સ પ્રા.લિ. અને શક્તિ સિક્યોરિટીએ CSO જાગૃત નાયકની બોગસ સહી કરીને, ખોટો ઠરાવ નંબર આપીને બોગસ દસ્તાવેજો વડે લેબર લાઈસન્સ મેળવ્યું હતું. આ ગેરરીતિ બદલ આ ચારેય એજન્સીઓને ચોથી એજન્સી શિવ સિક્યુરિટી સર્વિસ પણ ખામીયુક્ત દસ્તાવેજને કારણે ડિસ્ક્વોલિફાઈ કરવામાં આવી હતી. કોન્ટ્રાક્ટ એપ્રિલમાં પૂર્ણ છતાં 8 મહિનાથી કામગીરી ચાલુઆ ત્રણેય વિવાદાસ્પદ એજન્સીઓનો કોન્ટ્રાક્ટ ગત એપ્રિલ મહિનામાં જ પૂર્ણ થઈ ગયો હોવા છતાં, તંત્ર દ્વારા તેમને કાર્યોત્તર ઓર્ડર આપીને જુનો કોન્ટ્રાક્ટ જારી રાખવામાં આવ્યો છે. તંત્ર નવી એજન્સી મેળવવાની કામગીરી આગળ ન વધી હોવાનું કારણ આપી રહ્યું છે, પરંતુ આ એજન્સીઓ છેલ્લા 8 મહિનાથી કામગીરી કરી રહી છે. પૂર્વ કોર્પોરેટરની મુખ્યમંત્રીને રજૂઆતઆ સમગ્ર મામલે પૂર્વ કોર્પોરેટર વિજય પાનસુરિયાએ રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે. તેમણે માગ કરી છે કે, બોગસ દસ્તાવેજો રજૂ કરનાર ઇજારદારોનો કોન્ટ્રાક્ટ ચાલુ રાખવા બદલ અને કોર્ટે પિટિશન ડિસ્પોઝ કર્યા પછી પણ ફોજદારી કાર્યવાહી ન કરવા બદલ તંત્રના જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

દિવ્ય ભાસ્કર 22 Nov 2025 9:59 pm