મહેસાણા શહેરમાં આજે ઉત્તરાયણના પર્વની પરંપરાગત હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારે વાતાવરણમાં ગુલાબી ઠંડીનો ચમકારો હોવાને કારણે ધાબાઓ પર પતંગબાજોની હાજરી નહિવત જોવા મળી હતી. જોકે, જેમ જેમ સૂર્યનારાયણના દર્શન થયા અને ઠંડીનો પારો થોડો ગગડ્યો તેમ તેમ લોકો ઉત્સાહભેર ધાબા અને અગાશીઓ પર ઉમટી પડ્યા હતા. ચાલુ વર્ષે પતંગરસિયાઓ માટે સૌથી આનંદની વાત પવનની ગતિ રહી છે. સવારથી જ પવને પતંગબાજી માટે સાનુકૂળ સાથ આપતા મહેસાણાના આકાશમાં રંગબેરંગી પતંગોની જમાવટ જોવા મળી રહી છે. શહેરના ગોપીનાથ રોડ, મોઢેરા રોડ અને રાધનપુર રોડ સહિતના વિસ્તારોમાં 'કાયપો છે' અને 'એ લપેટ'ના ગુંજારવથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. અનુકૂળ પવનને કારણે પતંગરસિયાઓમાં ભારે ખુશીનો માહોલ છે અને સાંજ સુધી આ આકાશી જંગ જામશે તેવો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે.
પાટણ લાયન્સ ક્લબ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગાયો માટે દાન એકત્ર કરવામાં આવ્યું છે. ક્લબ છેલ્લા 14 વર્ષથી આ પ્રવૃત્તિ કરી ગૌશાળાઓને મદદ કરી રહી છે. આ વર્ષે પણ લાયન્સ ક્લબના આગેવાનો અને કાર્યકરોએ શહેરના હિંગળાચાચર બગવાડા દરવાજા સહિતના વિવિધ વિસ્તારોમાંથી રાહદારીઓ અને વાહનચાલકો પાસેથી દાનની રકમ એકત્ર કરી હતી. મકરસંક્રાંતિનું પર્વ સમગ્ર ભારતમાં પતંગ ઉત્સવ તરીકે ઉજવાય છે. પાટણ શહેરમાં પણ ઉત્તરાયણનું વિશેષ મહત્વ છે. પતંગ રસિકો ધાબા પર પતંગ ચગાવી ઉજવણી કરે છે, ત્યારે લાયન્સ ક્લબ જેવી સેવાભાવી સંસ્થાઓ પશુઓ માટે દાન એકત્ર કરીને આ પર્વની ઉજવણી કરે છે.
આજે પવિત્ર ષષ્ઠતિલા અગિયારસનો પર્વ છે, જેને હિન્દુ ધર્મમાં અત્યંત મહત્વપૂર્ણ અને મોક્ષદાયની તિથિ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષની તમામ ૨૪ અગિયારસમાં આ અગિયારસનું સ્થાન વિશેષ છે, કારણ કે માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવતા દાન અને તર્પણથી પિતૃઓને સીધો મોક્ષ પ્રાપ્ત થાય છે. સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત રામનાથ ઘેલા સ્મશાન ભૂમિમાં આ ખાસ અવસરે વહેલી સવારથી જ લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. અહીં માત્ર ધાર્મિક વિધિઓ જ નહીં, પરંતુ પૂર્વજો પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને સ્મૃતિઓનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. લોકો પોતાના સ્વર્ગસ્થ પૂર્વજોના આત્માના કલ્યાણ માટે અને તેમના આશીર્વાદ મેળવવા માટે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા, જેના કારણે સમગ્ર સ્મશાન પરિસરમાં એક ગંભીર અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. રામનાથ ઘેલા સ્મશાનમાં પિતૃ તર્પણની પ્રક્રિયા સામાન્ય વિધિઓ કરતા અલગ આ પરંપરાની સૌથી અનોખી બાબત એ છે કે અહીં આવતા શ્રદ્ધાળુઓ પોતાના પૂર્વજોને જે વસ્તુઓ સૌથી વધુ ગમતી હતી, તેની સાથે પૂજા-અર્ચના કરે છે. રામનાથ ઘેલા સ્મશાન ભૂમિમાં પિતૃ તર્પણની પ્રક્રિયા સામાન્ય વિધિઓ કરતા થોડી અલગ છે. અહીં લોકો માનતા હોય છે કે પૂર્વજોને તેમની જીવતેજીવ પ્રિય હોય તેવી વસ્તુઓ અર્પણ કરવાથી તેઓ તૃપ્ત થાય છે. આ વિધિમાં ભોજનની વાનગીઓથી લઈને અન્ય વ્યક્તિગત શોખની વસ્તુઓનો સમાવેશ થાય છે. ભક્તો શ્રદ્ધાપૂર્વક ધૂપ-દીપ કરી પૂર્વજોની તસવીર સમક્ષ પૂજા કરે છે અને તેમને ભાવપૂર્વક વિનંતી કરે છે કે તેઓ તેમના ભોગનો સ્વીકાર કરે. આ પ્રકારની પૂજા પૂર્વજો અને પરિવાર વચ્ચેના અતૂટ બંધનને જીવંત રાખે છે. દારૂ અર્પણ કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છેઆ પૂજા વિધિ દરમિયાન એક વિશિષ્ટ અને પરંપરાગત બાબત એ જોવા મળી હતી કે જે પૂર્વજોને તેમના જીવનકાળ દરમિયાન દારૂ કે અન્ય કોઈ ચોક્કસ પીણાં પસંદ હતા, તેમના પરિવારજનો દ્વારા પૂજા અર્ચના સાથે તે તમામ વસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી. દારૂ અર્પણ કરવાની આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે અને તેને શ્રદ્ધા સાથે જોડવામાં આવે છે. પરિવારજનોનું માનવું છે કે પિતૃઓને જે ગમતું હતું તે અર્પણ કરવાથી તેમની આત્માને પરમ શાંતિ મળે છે. શાસ્ત્રોક્ત વિધિ મુજબ તર્પણ કર્યા બાદ, લોકો આ અનોખી આહુતિ આપીને પૂર્વજોની તૃપ્તિ માટે પ્રાર્થના કરતા નજરે પડ્યા હતા. આ પ્રકારની અર્પણ વિધિ સુરતની સંસ્કૃતિમાં પૂર્વજો પ્રત્યેની એક અલગ પ્રકારની આત્મીયતા દર્શાવે છે. ષષ્ઠતિલા અગિયારસે પૂજા કરવાથી પિતૃઓને નરકવાસમાંથી મુક્તિ મળેની માન્યતાષષ્ઠતિલા અગિયારસનું આધ્યાત્મિક મહત્વ વર્ણવતા વિદ્વાનો જણાવે છે કે રામનાથ ઘેલા સ્મશાન ભૂમિમાં આ દિવસે પૂજા કરવાથી પિતૃઓને નરકવાસમાંથી મુક્તિ મળે છે અને તેઓ સીધા મોક્ષના માર્ગે અગ્રેસર થાય છે. આ સ્મશાન ભૂમિને અત્યંત પવિત્ર માનવામાં આવે છે, જ્યાં ભગવાન શિવનો વાસ હોવાનું મનાય છે. લોકો દ્રઢપણે માને છે કે અહીં પિતૃઓને જે પણ અર્પણ કરવામાં આવે છે, તે સીધું જ તેમના સુધી પહોંચે છે. આ કારણોસર જ સુરતી પરિવારો પેઢીઓથી અહીં આવીને પૂર્વજોના નામે તર્પણ કરે છે. પિતૃઓના મોક્ષ માટેની આ શ્રદ્ધા આજે પણ આધુનિક યુગમાં અકબંધ જોવા મળી રહી છે, જે ભારતીય પરંપરાઓની ઊંડી મૂળિયાં દર્શાવે છે. પૂર્વજોની યાદમાં કેટલાય પરિવારજનો ભાવવિભોર થઈને રડતા જોવા મળ્યા પૂજા વિધિ દરમિયાન સ્મશાનમાં વાતાવરણ અત્યંત કરુણ અને ભાવુક બની ગયું હતું. પોતાના પૂર્વજોને ગુમાવી દેનાર પરિવારજનો જ્યારે તેમની યાદમાં વિધિ કરી રહ્યા હતા ત્યારે અનેક લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા. પૂર્વજોની યાદમાં કેટલાય પરિવારજનો ભાવવિભોર થઈને રડતા પણ જોવા મળ્યા હતા. આ માત્ર એક ધાર્મિક વિધિ નહોતી, પરંતુ પોતાના સ્વજનો પ્રત્યેનો આદર અને તેમનાથી વિખૂટા પડ્યાનું દુઃખ વ્યક્ત કરવાનું એક માધ્યમ પણ હતું. લોકો પિતૃઓની તસવીરો સામે હાથ જોડીને બેસી રહ્યા હતા અને તેમના જીવનના સંઘર્ષો તથા સ્મૃતિઓને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા. લાગણીઓના આ ઘોડાપૂરમાં દરેક જણ પોતાના પિતૃઓને યાદ કરવામાં મગ્ન હતા. ભક્તિ, મોક્ષની કામના અને પારિવારિક લાગણીઓનો અદભૂત સંગમ અંતમાં, આ અનોખી વિધિ સુરતી જનતાની પૂર્વજો પ્રત્યેની અતૂટ આસ્થાનો પુરાવો આપે છે. સમાજના વિવિધ વર્ગોમાંથી આવતા લોકો અહીં ભેદભાવ ભૂલીને માત્ર પિતૃ ભક્તિમાં લીન જોવા મળ્યા હતા. પૂર્વજોને પ્રિય એવી વસ્તુઓ જેમ કે દારૂ, ભોજન કે મિઠાઈ અર્પણ કરીને લોકોએ એક અનોખો સંદેશ આપ્યો છે કે મૃત્યુ પછી પણ સંબંધોનો અંત આવતો નથી. રામનાથ ઘેલા સ્મશાનમાં યોજાયેલી આ અર્પણ વિધિમાં ભક્તિ, મોક્ષની કામના અને પારિવારિક લાગણીઓનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો.
પાટણના ચક્રવર્તી સમ્રાટ રાજા સિદ્ધરાજ જયસિંહની મકરસંક્રાંતિના દિવસે પુણ્યતિથિ નિમિત્તે બુધવારે શહેરના બગવાડા દરવાજા સ્થિત પ્રતિમાને રાજપૂત સમાજ, પાટણ નગરપાલિકા અને વિવિધ સામાજિક સંસ્થાઓ તથા આગેવાનો દ્વારા માલ્યાર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. રાજપૂત સમાજ દ્વારા પંચામૃતથી અભિષેક પણ કરાયો હતો. વીર વનરાજ ચાવડાએ વિક્રમ સંવત 802માં અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. પાટણમાં ચાવડા, વાઘેલા અને સોલંકી વંશના અનેક રાજાઓએ શાસન કર્યું હતું. સોલંકી કાળને ગુજરાતનો સુવર્ણકાળ કહેવામાં આવે છે. રાજા સિદ્ધરાજ જયસિંહે પાટણની ધૂરા સંભાળી ત્યારથી તેમણે પાટણના સીમાડાઓ વધાર્યા હતા અને તે સમયે પાટણ ગુજરાતની રાજધાની હતી. ઉત્તરાયણના દિવસે આ ચક્રવર્તી સમ્રાટનું નિધન થયું હોવાથી, બુધવારે મકરસંક્રાંતિના પાવન પર્વ પ્રસંગે તેમની 883મી પુણ્યતિથિ નિમિત્તે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, પાટણ નગરપાલિકા સહિત વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને નગરના આગેવાનોએ બગવાડા દરવાજા ખાતે સ્થાપિત રાજા સિદ્ધરાજ જયસિંહની પ્રતિમાને માલ્યાર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા અને તેમની યશોગાથા વાગોળી હતી.
સેલવાસથી સુરત લઈ જવાતો લાખોનો વિદેશી દારૂ ઝડપાયો:વલસાડ LCBએ બે આરોપીને પકડ્યા, એક ફરાર
વલસાડ LCB ટીમે સેલવાસથી સુરત લઈ જવાઈ રહેલો લાખો રૂપિયાનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં ₹4,08,960/-ની કિંમતનો દારૂ અને અન્ય મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી ફરાર છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ અને LCB PI ઉત્સવ બારોટના નેતૃત્વમાં લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી. ખાનગી બાતમીના આધારે વાપી નજીક મોજે સલવાવ, એમ.ક્યુબ-02 બિલ્ડિંગ સામે, નેશનલ હાઈવે નં. 48 પરથી મુંબઈથી સુરત તરફ જઈ રહેલી ગ્રે કલરની FIAT PUNTO કાર (નં. GJ-05-JL-6375)ને અટકાવી તપાસ કરવામાં આવી હતી. કારની તપાસ દરમિયાન તેની વચ્ચેની સીટ અને ડિક્કીના ભાગમાંથી વિદેશી દારૂના કુલ 37 બોક્સમાં 876 બોટલ દારૂ મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત ₹4,08,960/- થાય છે. દારૂ ઉપરાંત, ₹3 લાખની કિંમતની કાર અને બે મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા, આમ કુલ ₹7,18,960/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે કારચાલક પ્રભુસિંહ જ્યોધસિંહ ઉદયસિંહ રાવત (ઉ.વ. 26) અને ક્લીનર દેવેન્દ્રસિંહ કિશનસિંહ પ્રેમસિંહ રાવત (ઉ.વ. 22)ને ઝડપી પાડ્યા છે. બંને હાલ ઓલપાડ, સુરત ખાતે રહે છે અને મૂળ રાજસ્થાનના વતની છે. આ દારૂ ભરેલી કાર આપનાર અને પાયલોટિંગ કરનાર અશ્વીનકુમાર (રહે. સચીન, સુરત)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે, જેના પુરા નામઠામ અંગે વધુ તપાસ ચાલી રહી છે. આ અંગે LCBની ટીમે ડુંગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કબજે કરાયેલા મુદ્દામાલ અને ઝડપાયેલા આરોપીઓ અંગે ડુંગરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
લોઢવા સ્કૂલમાં મકરસંક્રાંતિની ભવ્ય ઉજવણી:વિદ્યાર્થીઓએ પતંગો ઉડાવી, પરંપરાગત વ્યંજનોનો આનંદ માણ્યો
લોઢવા ગામમાં આવેલી ન્યૂ સનશાઈન ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મકરસંક્રાંતિનો પાવન તહેવાર ઉત્સાહ અને ભારતીય સંસ્કૃતિના સંદેશ સાથે ઉજવવામાં આવ્યો હતો. સમગ્ર સ્કૂલ પરિસર તહેવારી માહોલથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ રંગબેરંગી પતંગો ઉડાવી તહેવારની ખુશી વ્યક્ત કરી હતી. ખુલ્લા આકાશમાં ઉડતા પતંગો અને બાળકોના હાસ્યભર્યા ચહેરાઓએ વાતાવરણને જીવંત બનાવ્યું હતું. વિદ્યાર્થીઓએ તલના લાડુ, મીઠાઈઓ તથા પરંપરાગત વ્યંજનોનો પણ આનંદ લીધો હતો. આ ઉજવણીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને સામૂહિક જીવનના મૂલ્યો પ્રત્યે સમજ વિકસાવવાનો હતો. મકરસંક્રાંતિ માત્ર તહેવાર નહીં, પરંતુ ઋતુ પરિવર્તન, નવી શરૂઆત અને સકારાત્મક ઊર્જાનો સંદેશ આપે છે, તે ભાવના બાળકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો. સમગ્ર સ્કૂલ પરિસર પતંગો, તહેવારી સજાવટ અને ખુશીના રંગોમાં રંગાઈ ગયું હતું. વિદ્યાર્થીઓમાં એકતા, ઉત્સાહ અને આનંદની ભાવના સ્પષ્ટપણે જોવા મળી હતી. ન્યૂ સનશાઈન ઇંગ્લીશ મીડીયમ સ્કૂલના પ્રિન્સિપાલ જશુભાઈ વાઢેરે આ પ્રસંગે જણાવ્યું હતું કે, “મકરસંક્રાંતિ જેવા પરંપરાગત તહેવારોની ઉજવણી દ્વારા બાળકોને આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડવાનો અમારો મુખ્ય ઉદ્દેશ છે. આજની ઉજવણીમાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ, એકતા અને આનંદ જોવા મળ્યો, જે અમારા માટે અત્યંત આનંદની વાત છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “ભવિષ્યમાં પણ શૈક્ષણિક સાથે-સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સ્કૂલ સતત પ્રયત્નશીલ રહેશે.” સ્કૂલ સંચાલન દ્વારા આયોજિત આ ભવ્ય ઉજવણીથી વિદ્યાર્થીઓમાં સંસ્કાર, પરંપરા અને તહેવારો પ્રત્યે આદરભાવ વિકસે તેવો હેતુ સિદ્ધ થયો હતો.
પાટણમાં ઊંધિયું, જલેબી અને ફાફડા માટે લાંબી લાઈનો:વહેલી સવારથી જ સ્ટોલો પર લોકોની ભીડ જામી
પાટણમાં ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. પતંગ ચગાવવાની સાથે સાથે, શહેરના લોકોએ પરંપરાગત ઊંધિયું, જલેબી અને ફાફડાનો સ્વાદ માણવા માટે વહેલી સવારથી જ વિવિધ સ્ટોલો પર લાંબી કતારો લગાવી હતી. ભારતીય સંસ્કૃતિમાં તહેવારો સાથે ખાસ વાનગીઓ આરોગવાનું વિશેષ મહત્વ છે. ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઊંધિયું, ફાફડા અને જલેબી ખાવાની પરંપરા છે. વહેલી સવારથી જ એ લપેટ... કાપ્યો છે... જેવા અવાજોથી શહેરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું, જે પતંગરસિયાઓના ઉત્સાહને દર્શાવતું હતું. શહેરના મહોલ્લાઓ, પોળો અને સોસાયટી વિસ્તારોમાં પતંગ ચગાવવાની સાથે જ ખાણી-પીણીનો પણ માહોલ જામ્યો હતો. વિવિધ વિસ્તારો અને જાહેર માર્ગો પર ઊંધિયાના સ્ટોલ ધમધમતા જોવા મળ્યા હતા. પાટણવાસીઓએ લાખો રૂપિયાના ઊંધિયા, જલેબી અને ફાફડાની ખરીદી કરી પર્વની ઉજવણીમાં ચાર ચાંદ લગાવ્યા હતા. નાના ભૂલકાઓથી માંડીને મોટેરાઓ સુધી સૌ કોઈએ પતંગ ચગાવવાની મજાની સાથે સાથે આ સ્વાદિષ્ટ વાનગીઓની જ્યાફત ઉડાવી હતી. આમ, નગરજનોએ આનંદ અને ઉલ્લાસભેર ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી.
ઉત્તરાયણના દિવસે પવન અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. રાજ્યમાં આજે એટલે કે, 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે પવનની ગતિ 5થી 15 કિમી પ્રતિકલાકની રહેશે. તાપમાનની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું હતું. નલિયામાં 5.2 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાતા ઠંડીનો પારો ગગડ્યો હતો. નલિયામાં રાજ્યની સૌથી વધુ ઠંડીઅમદાવાદમાં 12.6 ડિગ્રી સેલ્સિયસ વડોદરામાં 14.4 ડિગ્રી સેલ્સિયસ ભાવનગરમાં 15.4 ડિગ્રી સેલ્સિયસ ભુજમાં 9.6 ડિગ્રી સેલ્સિયસ દમણમાં 18.6 ડિગ્રી સેલ્સિયસ ડીસામાં 10.4 ડિગ્રી સેલ્સિયસ દીવમાં 12.5 ડિગ્રી સેલ્સિયસ દ્વારકામાં 14 ડિગ્રી સેલ્સિયસ કંડલામાં 11.5 ડિગ્રી સેલ્સિયસ નલિયામાં 5.2 ડિગ્રી સેલ્સિયસ ઓખામાં 17.3 ડિગ્રી સેલ્સિયસ પોરબંદરમાં 10.6 ડિગ્રી સેલ્સિયસ રાજકોટમાં 8.8 ડિગ્રી સેલ્સિયસ સુરતમાં 16 ડીગ્રી સેલ્સિયસ વેરાવળમાં 16.5 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં પ્રદૂષણનો પારો વધ્યોAQIની વાત કરીએ તો, ઉત્તરાયણના દિવસે અને તેની આસપાસના દિવસોમાં અમદાવાદનો AQI 200થી 250 ની વચ્ચે નોંધાયો છે, જે 'ખરાબ' (Poor/Unhealthy) શ્રેણીમાં આવે છે. હવામાં PM2.5 અને PM10 નું પ્રમાણ વધ્યું છે. પતંગબાજી દરમિયાન ફટાકડા ફોડવા, વાહનોનું પ્રદૂષણ અને શિયાળાના કારણે હવામાં જામતું ધુમ્મસ (Smog)ના કારણે AQI આટલો વધારે નોંધાયો છે. થલતેજ, બોપલ, શાંતિગ્રામ અને રખિયાલ જેવા વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર સૌથી વધુ જોવા મળ્યું છે. પતંગબાજીની મજા વચ્ચે અમદાવાદનો AQI 200ને પાર પહોંચ્યોઅમદાવાદીઓ માટે ઉત્તરાયણનો તહેવાર આનંદ લઈને આવ્યો છે, પરંતુ સાથે જ શહેરની હવામાં ઝેર પણ ભળ્યું છે. પતંગબાજીની મજા વચ્ચે આજે અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 200ને પાર પહોંચી ગયો છે. આજે વહેલી સવારથી જ અમદાવાદના આકાશમાં રંગબેરંગી પતંગોની સાથે પ્રદૂષણની ચાદર પણ જોવા મળી હતી. ઉત્તરાયણના પર્વે શહેરમાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે વધ્યું છે. આંકડાઓ મુજબ, શહેરના અનેક વિસ્તારોમાં AQI 200થી વધુ નોંધાયો છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે. અમદાવાદના આ વિસ્તારોની હવા ઝેરી બનીખાસ કરીને ગોતા, થલતેજ અને શાંતિગ્રામ જેવા વિસ્તારોમાં હવાની ગુણવત્તા સૌથી વધુ બગડી છે. વહેલી સવારની ઠંડી અને પતંગબાજો દ્વારા ફોડવામાં આવતા ફટાકડાને કારણે હવામાં પ્રદૂષિત કણોનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને અસ્થમા અને શ્વાસની તકલીફ ધરાવતા દર્દીઓ, વૃદ્ધો અને બાળકોને સાવચેત રહેવું. શું છે એર ક્વોલિટી ઇન્ડેક્સ?AQI જાણવા માટે વિવિધ પ્રકારના પ્રદૂષકોનું અવલોકન કરવામાં આવે છે અને એની માત્રા માપવામાં આવે છે. એના માટેની એક સ્ટાન્ડર્ડ પ્રક્રિયા છે. AQIનો સ્તર સૂચવે છે કે વાયુ-પ્રદૂષણ વધી રહ્યું છે કે ઘટી રહ્યું છે. AQIની રેન્જ 0થી 500 વચ્ચે હોય છે. AQI જેટલો ઓછો એટલી હવા સારી અને જેમ જેમ AQI વધે અમ અમ પ્રદૂષણ વધ્યું ગણાય. એર ક્વોલિટી ઇન્ડેક્સને વિવિધ સ્ટેજમાં ડિવાઇડ કરવામાં આવ્યો છે. વળી, દરેક સ્ટેજને એક ખાસ કલર કોડ આપવામાં આવ્યો છે, જેથી સરળતાથી જાણી શકાય અને સમજી પણ શકાય કે હવા કેટલી શુદ્ધ છે અને કેટલી પ્રદૂષિત છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ મુજબ જો હવાની ગુણવત્તાનો સ્કોર 0-100 વચ્ચે આવે તો સારી ગણાય, 101થી 200 વચ્ચે સાધારણ અને 201થી 300 વચ્ચે ખરાબ કહેવાય છે. જો 301થી 400 વચ્ચે હોય તો ખૂબ જ ખરાબ કહેવાય અને 401થી 500 વચ્ચે હોય તો તે અત્યંત ખરાબ કહેવાય છે.
ભાજપના દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદના ઘરમાં આગ લાગી, ફાયરબ્રિગેડના 3 વાહનો ઘટનાસ્થળે
Fire at BJP MP Ravi Shankar Prasad Residence: ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ રવિશંકર પ્રસાદના દિલ્હી સ્થિત નિવાસસ્થાને આગ લાગવાની ઘટના બની છે. આ દુર્ઘટના બુધવારે સવારે આશરે 8 વાગ્યાની આસપાસ બની હતી. આગ લાગ્યાની જાણ થતા જ ફાયરબ્રિગેડનાં 3 વાહનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. રવિશંકર પ્રસાદનું આ ઘર દિલ્હીના 21 મધર ટેરેસા ક્રેસન્ટ રોડ પર આવેલું છે.
સુરત શહેરમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર, આગામી 14 અને 15 જાન્યુઆરીના રોજ શહેરના અંદાજે 125 જેટલા ફ્લાય ઓવરબ્રિજ પર ટુ-વ્હીલર ચાલકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પતંગના દોરાના કારણે વાહનચાલકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત ન થાય અને કોઈ જાનહાનિ ન થાય તે હેતુથી આ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. 125 ફ્લાય ઓવરબ્રિજ પર ટુ-વ્હીલર ચાલકોની અવરજવર પર પ્રતિબંધતહેવારના દિવસોમાં ઓવરબ્રિજ પર પતંગના દોરા આવવાની શક્યતા વધુ હોય છે, જેનાથી ગળા કપાવવાની અનેક ઘટનાઓ અગાઉ બની ચૂકી છે. આ જોખમને ટાળવા માટે શહેરના તાપી નદી પરના બ્રિજ સિવાયના તમામ ઓવરબ્રિજ ટુ-વ્હીલર માટે બંધ રહેશે. જે વાહનચાલકો આ બે દિવસ દરમિયાન અવરજવર કરવા માંગતા હોય, તેઓએ ફરજિયાતપણે બ્રિજની નીચેના સર્વિસ રોડનો ઉપયોગ કરવાનો રહેશે. જોકે, ફોર-વ્હીલર વાહનો માટે બ્રિજ ખુલ્લા રહેશે. 'સેફ્ટી ગાર્ડ' લગાવેલા હશે તો પ્રતિબંધમાંથી મુક્તિઆ જાહેરનામામાં કેટલીક છૂટછાટ પણ આપવામાં આવી છે. જે ટુ-વ્હીલર ચાલકોએ પોતાના વાહન પર આગળના ભાગે સુરક્ષા માટે 'સેફ્ટી ગાર્ડ' લગાવેલા હશે, તેમને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવશે. આ ઉપરાંત, તાપી નદી પર આવેલા મોટા બ્રિજ પરથી ટુ-વ્હીલર પસાર થઈ શકશે, પરંતુ ત્યાં પણ ચાલકોએ તકેદારી રાખવી પડશે. પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે નાગરિકો પોતાની સુરક્ષા માટે નિયમોનું ચુસ્તપણે પાલન કરે. ઓવરબ્રિજ પાસે પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત તૈનાતપોલીસ કમિશનરના આ આદેશના અમલીકરણ માટે શહેરના દરેક ઓવરબ્રિજ પર પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. બ્રિજના ચઢાણ અને ઉતરાણના પોઈન્ટ પર પોલીસ કર્મચારીઓ સતત મોનિટરિંગ કરશે જેથી કોઈ ટુ-વ્હીલર ચાલક બ્રિજ પર ન જાય. જાહેરનામાનો ભંગ કરનાર વાહનચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને દંડ પણ વસૂલવામાં આવશે તેવી કડક સૂચના આપવામાં આવી છે. સુરત પોલીસ કમિશનરનો નિર્ણયસુરત પોલીસ દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય નાગરિકોની સુરક્ષા માટે અત્યંત મહત્વનો માનવામાં આવી રહ્યો છે. દર વર્ષે ઉત્તરાયણ પર દોરાથી ઘાયલ થનારા લોકોની સંખ્યામાં વધારો થતો હોય છે, ત્યારે આ વર્ષે પોલીસ પ્રશાસન કોઈ પણ પ્રકારની કચાશ રાખવા માંગતું નથી. શહેરીજનોને આનંદ અને સલામતી સાથે તહેવાર ઉજવવા અને પોલીસને સહકાર આપવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
પાટણમાં ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી:રંગબેરંગી પતંગોથી આકાશ છવાયું, 'એ કાપ્યો છે'ની બૂમો
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મકરસંક્રાંતિ પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું. નાના બાળકોથી લઈને યુવાનો સુધીના પતંગ રસિયાઓ 'કાપ્યો છે' અને 'લપેટ' જેવી બૂમો પાડી ઉત્સાહભેર પતંગો ચગાવી રહ્યા છે. પરિવારો સાથે અગાસીઓ પર પહોંચી લોકો તલસાંકળી, ફાફડા-જલેબી અને ઊંધિયાની જયાફત માણશે પતંગ કપાય ત્યારે 'એ કાપ્યો છે'ની ગગનભેદી ચીચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પતંગ ચગાવવા માટે પૂરતો પવન હોવાથી પતંગ રસિયાઓને ખૂબ મજા આવી હતી. સામાન્ય નાગરિકોની સાથે રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ પતંગ ચગાવી પર્વની ઉજવણીમાં જોડાશે
સાળંગપુર સ્થિત વિશ્વવિખ્યાત કષ્ટભંજન હનુમાનજી મંદિરે મકરસંક્રાંતિ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ઉતરાયણ નિમિત્તે દાદાને રંગબેરંગી પતંગોનો વિશેષ શણગાર કરાયો હતો, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. હનુમાનજી દાદાના સિંહાસનને વિવિધ ડિઝાઇનની પતંગો અને રંગબેરંગી દોરાની ફિરકીઓથી મનોહર રીતે શણગારવામાં આવ્યું હતું. સમગ્ર મંદિર પરિસરમાં ઉત્સવમય વાતાવરણ છવાયું હતું. મંદિરના સંતો દ્વારા હનુમાનજી દાદાની સન્મુખ પરંપરાગત રીતે ગૌ પૂજન કરવામાં આવ્યું. આ ઉપરાંત, ચિક્કી, મમરાના લાડુ સહિતની પરંપરાગત વાનગીઓનો ભવ્ય અન્નકૂટ પણ ધરાવાયો હતો, જેનો ભક્તોએ પ્રસાદ તરીકે સ્વીકાર કર્યો. મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે હરિભક્તોએ સાળંગપુર મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી અને હનુમાનજી દાદાના આશીર્વાદ મેળવ્યા. આ અંગેની માહિતી સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીએ આપી હતી.
સુરતમાં ઉત્તરાયણની ઉજવણી પતંગોની પેચબાજી જેટલી જ ખાણી-પીણી માટે જાણીતી છે. આ વર્ષે સુરતીઓએ મોંઘવારીને બાજુ પર મૂકીને ઊંધિયાના સ્વાદને પ્રાધાન્ય આપ્યું છે. વહેલી સવારના 6 વાગ્યાથી જ શહેરના અડાજણ, વરાછા, કતારગામ અને વેસુ જેવા વિસ્તારોમાં ફરસાણની દુકાનો પર લાંબી કતારો જોવા મળી હતી. આ વર્ષે સુરતીઓ અંદાજે 45 કરોડ રૂપિયાથી વધુનું ઊંધિયું આરોગી જશે તેવો અંદાજ છે. ગત વર્ષે આ આંકડો 30 કરોડની આસપાસ હતો, જે આ વખતે ભાવવધારા અને વધતી માંગને કારણે નવી સપાટી વટાવશે. 'રસોડાને રજા' અને ‘ઊંધિયાની મજા’સુરતીઓ માટે ઉત્તરાયણ એટલે 'રસોડાને રજા' અને 'ઊંધિયાની મજા'. આ પરંપરાને જાળવી રાખવા માટે લોકો કિલો દીઠ વધારાના 100-150 રૂપિયા ચૂકવવા પણ તૈયાર દેખાઈ રહ્યા છે.ઊંધિયું બનાવવા માટે જરૂરી એવા ખાસ શાકભાજીના ભાવમાં છેલ્લા 2 દિવસમાં અધધ વધારો થયો છે. સુરત એપીએમસી માર્કેટમાં રતાળુ, સુરતી પાપડી, શક્કરિયા અને રીંગણની આવક હોવા છતાં માંગ 5 ગણી વધી ગઈ છે. સામાન્ય દિવસોમાં જે રતાળુ કે પાપડી વ્યાજબી ભાવે મળતા હતા, તેના ભાવ અત્યારે આસમાને પહોંચ્યા છે. 'ઊંધિયું કિલો દીઠ 40થી 150 રૂપિયા મોંઘું'- વેપારીવેપારીઓના જણાવ્યા મુજબ, પાપડી અને રતાળુના જથ્થાબંધ ભાવમાં થયેલા વધારાની સીધી અસર તૈયાર ઊંધિયાના ભાવ પર પડી છે. આ કાચા માલની કિંમત વધવાને કારણે ગ્રાહકોને આ વર્ષે ઊંધિયું કિલો દીઠ 40થી 150 રૂપિયા મોંઘું પડી રહ્યું છે, છતાં પણ સુરતીઓના ઉત્સાહમાં કોઈ જ ઓટ જોવા મળી રહી નથી. સૌથી મોંઘું 'ફરાળી ઊંધિયું' માર્કેટમાં વેચાઈ રહ્યું છેઆ વર્ષે સુરતના બજારમાં ઊંધિયાના અલગ-અલગ પ્રકારો અને તેના ભાવમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. સામાન્ય સુરતી ઊંધિયું, જેમાં પાપડી, રતાળુ, રવૈયા અને મુઠિયાનો ઉપયોગ થાય છે, તેનો ભાવ પ્રતિ કિલો 550થી 600 રૂપિયા સુધી પહોંચ્યો છે. જો તમે જૈન ઊંધિયું પસંદ કરો છો, જેમાં કંદમૂળ નથી હોતું, તો તેનો ભાવ 550થી 650 રૂપિયાની વચ્ચે છે. સૌથી મોંઘું 'ફરાળી ઊંધિયું' વેચાઈ રહ્યું છે, જેનો ભાવ 550 થી શરૂ કરીને 700 રૂપિયા પ્રતિ કિલો સુધી વસૂલવામાં આવી રહ્યો છે. ફરાળી ઊંધિયામાં વપરાતું સૂરણ, રાજગરાનો લોટ અને ડ્રાયફ્રૂટ્સ જેવી સામગ્રીને કારણે તેના ભાવ અન્ય કરતા વધુ ઊંચા રહે છે 8 લાખ કિલો ઊંધિયાના તોતિંગ વેચાણનો અંદાજસુરત શહેરમાં નાની-મોટી અંદાજે 5,000 જેટલી ફરસાણની દુકાનો આવેલી છે. એક સર્વે મુજબ, દરેક દુકાને સરેરાશ 100થી 150 કિલો ઊંધિયાનું વેચાણ થાય છે. આ ગણતરીએ સમગ્ર સુરતમાં માત્ર એક જ દિવસમાં આશરે 8 લાખ કિલો ઊંધિયાનું વેચાણ થવાનો અંદાજ છે. આ આંકડો દર્શાવે છે કે સુરતનું અર્થતંત્ર ઉત્તરાયણના દિવસે માત્ર પતંગ અને દોરા પર જ નહીં, પરંતુ ખાદ્યબજાર પર પણ મોટાપાયે નિર્ભર છે. 35 થી 45 કરોડનો આ આર્થિક વહીવટ સાબિત કરે છે કે મોંઘવારી ગમે તેટલી હોય, પણ સુરતીઓ પોતાની પરંપરાગત જયાફત માણવામાં ક્યાંય પાછા પડતા નથી. આ કારણે વેપારીઓએ ભાવ વધાર્યાફરસાણના અગ્રણી વેપારી નીતિનભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, ઊંધિયું બનાવવાની પ્રક્રિયા અત્યંત મહેનત માંગી લે તેવી છે. માત્ર શાકભાજી જ નહીં, પણ ખાદ્ય તેલ, મસાલા અને મજૂરી ખર્ચમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ઉત્તરાયણના દિવસે કારીગરોને વધારાનું વેતન આપવું પડે છે અને વહેલી સવારે 5 વાગ્યાથી ભઠ્ઠીઓ ચાલુ કરી દેવી પડે છે. ગેસના ભાવ અને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચને જોડતા, ગત વર્ષની સરખામણીએ નફાનું માર્જિન ઘટ્યું છે. આથી, ગુણવત્તા જાળવી રાખવા માટે ભાવમાં વધારો કરવો વેપારીઓ માટે અનિવાર્ય બની ગયો છે. ગ્રાહકો પણ આ બાબત સમજી રહ્યા છે અને ગુણવત્તાયુક્ત ઊંધિયા માટે વધુ કિંમત ચૂકવી રહ્યા છે. કિંમત કરતા ક્વોલિટી પર સુરતીઓનો ભારસુરતની જનતા હંમેશા ક્વોલિટીની આગ્રહી રહી છે. બજારમાં ઓછા ભાવે પણ ઊંધિયું મળતું હોય છે, પરંતુ સુરતીઓ નામી બ્રાન્ડ્સ અને જૂના ભરોસાપાત્ર વેપારીઓને ત્યાં જ લાઈન લગાવે છે. લોકોનું માનવું છે કે વર્ષમાં એક જ વાર આવી રીતે સહપરિવાર ઊંધિયું ખાવાનો લ્હાવો મળે છે, તો પછી 20-50 રૂપિયા બચાવવા માટે સ્વાદ સાથે બાંધછોડ ન કરવી જોઈએ. આ માનસિકતાને કારણે જ પ્રખ્યાત દુકાનો પર ટોકન સિસ્ટમ હોવા છતાં લોકો કલાકો સુધી રાહ જોતા જોવા મળે છે. ઊંધિયાની સાથે શુદ્ધ ઘીની જલેબી અને ગરમાગરમ પૂરીના ભાવ પણ આ વર્ષે 10થી 20 ટકા વધ્યા હોવા છતાં ડિમાન્ડમાં કોઈ ઘટાડો થયો નથી. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઊંધિયાનો ક્રેઝ અને ભાવમાત્ર સુરત શહેર જ નહીં, પણ આસપાસના કામરેજ, પલસાણા અને ઓલપાડ જેવા વિસ્તારોમાં પણ ઊંધિયાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં શાકભાજી સીધા ખેતરમાંથી આવે છે, ત્યાં પણ મજૂરી અને મસાલાના ભાવ વધતા ઊંધિયું 400થી 500 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે. સુરતના પ્રખ્યાત 'માટલા ઊંધિયા' (ઉબાડિયું)ની માંગ પણ આ વર્ષે ભારે રહી છે. ઉબાડિયાના ભાવ પણ 450થી 550 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યા છે. શહેરની મોંઘી હોટલોથી લઈને હાઈવે પરના લારી-ગલ્લા સુધી, દરેક જગ્યાએ ઊંધિયાના વેપારમાં તેજી જોવા મળી રહી છે.
ઉત્તરાયણના બે દિવસ 108 સ્ટેન્ડબાય:45 એમ્બ્યુલન્સ તથા 230થી વધુનો સ્ટાફ ફરજ બજાવશે
મહેસાણા જિલ્લામાં ઉત્તરાયણ પર અકસ્માતના બનાવો બનતા હોય છે. આ વર્ષે 14 અને 15 જાન્યુઆરી બે દિવસ દરમિયાન 244 અકસ્માતના બનાવ બનવાનો અંદાજ 108ની ટ્રેન્ડ ફોર કાસ્ટીંગ ટીમ દ્વારા લગાવવામાં આવ્યો છે. આ અકસ્માતોના બનાવોને પહોંચી વળવા જિલ્લામાં 108મા ફરજ બજાવતા 230થી વધારે કર્મચારીઓને સ્ટેન્ડ ટુ રહેવા સૂચના અપાઈ છે. તો આ કર્મચારીઓની રજા પણ રદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. 108નો સ્ટાફ ઉત્તરાયણના બે દિવસ સ્ટેન્ડબાયમહેસાણા જિલ્લામાં 108ની 45 એમ્બ્યુલન્સ તો 230થી વધારે કર્મચારી ફરજ બજાવે છે. આ કર્મચારીઓને ઉત્તરાયણના બે દિવસ સ્ટેન્ડ ટુ રહેવાની સૂચના અપાઈ છે. મહેસાણા શહેર અને ગ્રામ્ય વિસ્તાર તથા તાલુકામાં વિસનગર,વડનગર,ખેરાલુ,સતાલાસણા,ઊંઝા,વિજાપુર,કડી,જોટાણા અને બેચરાજીમાં ઉત્તરાયણ પર પતંગ પકડવા જતા રોડ પર વાહન સાથે ટકરાઈ જવાના બનાવો બનતા હોય છે. છેલ્લા 5 વર્ષના આધારે અકસ્માતનો અંદાજમહેસાણા જિલ્લામાં વર્ષ 2020મા અંદાજિત 139, વર્ષ 2021મા અંદાજિત 129, વર્ષ 2022મા અંદાજિત 130 વર્ષ 2023મા અંદાજિત 161, વર્ષ 2024મા 141 તો ગત વર્ષ 2025માં અંદાજીત 152 અકસ્માતના બનાવો નોંધાયા હતા. આ આંકડા આધારે 108ની ટ્રેન્ડ ફોર કાસ્ટિંગ ટીમ દ્વારા 14 જાન્યુઆરી 2026ના દિવસે જિલ્લામાં 165 અકસ્માત તો 15 જાન્યુઆરી 2026ના રોજ 79 અકસ્માતના કેસ નોંધાવાનો અંદાજ લગાવ્યો છે. આ વર્ષે ઉત્તરાયણના બે દિવસ દરમિયાન કેસ વધવાનો અંદાજઆ અગાઉના વર્ષની ઉતરાયણ કરતા આ વર્ષે ઉત્તરાયણના બે દિવસ દરમિયાન કેસ વધવાનો અંદાજ છે, તે પગલે જિલ્લાના 108ના 230થી વધારે કર્મચારીઓને ઉત્તરાયણના બે દિવસ દરમિયાન સ્ટેન્ડ ટુ રહેવા આદેશ કરવામાં આવ્યો છે. પતંગ ચગાવતા પડી જવાના બનાવો, માર્ગ અકસ્માત, દોરી વાગવાના કેસઆ અંગે મહેસાણા જિલ્લા 108ના ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝીક્યુટીવ જીગ્નેશ પ્રજાપતિના જણાવ્યા મુજબ મહેસાણા જિલ્લામાં નોર્મલ દિવસ દરમિયાન 108ને ઈમરજન્સીના 82 કોલ મળતા હોય છે. જોકે ઉતરાયણ પર પતંગ ચગાવતા પડી જવાના બનાવો, માર્ગ અકસ્માત, દોરી વાગવા સહિતના બનાવોમાં ભારે ઉછાળો આવતો હોય છે. તેને પગલે 14 જાન્યુઆરી અને 15 જાન્યુઆરી એમ બે દિવસ દરમિયાન ઇમરજન્સી કેસમાં વધારો નોધાઇ શકે છે. જોકે જિલ્લાની 45 એમ્બ્યુલન્સ તથા 230થી વધુ સ્ટાફને સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યો છે.
ખેડા જિલ્લાના માતર તાલુકાના ગરમાળા ગામમાં ઉતરાયણ પર્વ દરમિયાન પતંગ ચગાવવા બાબતે થયેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઝઘડામાં એક યુવક પર છરી વડે હુમલો કરવામાં આવતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ગરમાળા ગામના 20 વર્ષીય ભાર્ગવભાઈ વિનુભાઈ ડાભીના ઘર પાસે કેટલાક યુવકો પતંગ ચગાવી રહ્યા હતા. આ દરમિયાન યુવકો દ્વારા અસભ્ય વર્તન અને ગાળાગાળી કરવામાં આવતા ભાર્ગવભાઈએ તેનો વિરોધ કર્યો હતો. ભાર્ગવભાઈના વિરોધથી ઉશ્કેરાયેલા સામે પક્ષના યુવકોએ તેમની સાથે ઝઘડો શરૂ કર્યો હતો. તકરાર વકરતા હુમલાખોરોએ ભાર્ગવભાઈને ગડદાપાટુનો માર માર્યો હતો અને બાદમાં તીક્ષ્ણ છરી વડે હુમલો કર્યો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. લોહીલુહાણ હાલતમાં ભાર્ગવભાઈને તાત્કાલિક ખેડા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમની હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે તેમને નડિયાદ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે. આ ઘટના અંગે બજરંગ દળના સંયોજક કેયુર પટેલે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ સામાન્ય ઝઘડો નહીં, પરંતુ હત્યાનો પ્રયાસ છે અને તહેવારના દિવસોમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બજરંગ દળે દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. સમગ્ર મામલે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે ઈજાગ્રસ્ત યુવકની પૂછપરછ કરી ફરિયાદ નોંધવાની અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાટણ શહેરમાં લગ્નપ્રસંગોમાંથી લાખો રૂપિયાના દાગીના અને રોકડ ચોરી કરનાર કુખ્યાત કડિયા સાંસી ગેંગના બે સભ્યોને જામીન મળ્યા છે. નકુલ રાજકુમાર સિસોદીયા અને ક્રિશ્ના બીરૂ પ્રભુ સિસોદીયાની લાંબા સમય બાદ પાટણ પોલીસે ધરપકડ કરી હતી. પાટણની જ્યુડિશિયલ કોર્ટે તેમની જામીન અરજી મંજૂર કરીને તેમને રૂ. 5000/5000ના જામીન પર મુક્ત કર્યા છે. આ આરોપીઓ ૨૦૧૪, ૨૦૧૯ અને ૨૦૨૨ના અરસામાં પાટણમાં લગ્નપ્રસંગોમાં સારા કપડાં પહેરી મહેમાન હોવાનો ડોળ કરીને ભેટ, ચાંલ્લાની રોકડ અને દાગીના ભરેલી બેગોની સિફતપૂર્વક ચોરી કરતા હતા. નકુલ સામે પાટણમાં ત્રણ ગુના નોંધાયેલા છે, જ્યારે ૧૧ વર્ષથી નાસતી ફરતી ક્રિશ્ના સામે ૨૦૧૪માં ચોરીનો એક ગુનો નોંધાયેલો હતો. નકુલ રાજકુમાર સિસોદીયા સામે ૨૮ નવેમ્બર, ૨૦૨૨ના રોજ પાટણના ખોડાભા હોલ ખાતેથી વર્ષાબેન સુથાર પાસેથી રૂ. ૮,૦૮,૮૦૦ના સોના-ચાંદીના દાગીના ભરેલી બેગ ચોરી કરવાનો ગુનો નોંધાયો હતો. તે જ દિવસે, જે.જે. પાર્ટી પ્લોટ ખાતેથી સુરેશ પંચાલની દીકરીના રૂ. ૪૦,૮૩૭ની કિંમતના દાગીના, રોકડ અને ફોન ચોરી કરવાનો પણ આરોપ છે. આ ઉપરાંત, ૨૦૧૯માં ચાણસ્માના ખારીઘારિયાલથી આવેલા મામેરામાંથી રૂ. ૫,૬૫,૦૦૦ રોકડ અને રૂ. ૯૦,૦૦૦ના સોનાના દાગીના સહિત કુલ રૂ. ૫,૬૫,૦૦૦ની મતા ચોરી કરી હતી. ક્રિશ્ના બીરૂ ઉર્ફે બીરૂ પ્રભુ સિસોદીયા સામે ૧૨ ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ પાટણના ફાઈવ એલ.પી. ભવન ખાતેથી રૂ. ૩ લાખની કિંમતનો ૧૦ તોલાનો હાર રાખેલું પર્સ ચોરી કરવાનો ગુનો નોંધાયો હતો, જેમાં એક છોકરો અને એક છોકરી સંડોવાયેલા હતા. આ તમામ ગુનાઓ ઘણા વર્ષોથી વણઉકેલ્યા હતા. આરોપીઓની ધરપકડ બાદ આ જૂના કેસો ઉકેલાયા હતા. કુલ મળીને, ચાર લગ્નપ્રસંગોમાંથી રૂ. ૧૭.૧૩ લાખના દાગીના અને રોકડની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે.
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક આવેલ ચિખોદરા પાસે ડોગ હૉસ્ટેલના નામે શ્વાનો પર થઈ રહેલ ક્રૂરતાનો પર્દાફાશ થયો છે. લોખંડની સાંકળથી કૂતરાને બાંધી રાખ્યા હતા, ભોજન પણ આપતો નહોતો. જેને પગલે કપુરાઇ પોલીસે યુવક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ચિખોદરા ગામ પાસે ડોગ હૉસ્ટેલના નામે શ્વાનો પર ક્રૂરતાવડોદરામાં પ્રાણી ક્રૂરતા નિવારણ માટે કાર્યરત દિયા અગ્રવાલને માહિતી મળી હતી કે, ચિખોદરા ગામ પાસે એક વ્યક્તિ દ્વારા ડોગ એન્ડ કેટ હોસ્ટેલ ઈન નામથી શ્વાનોને રાખવાનો વ્યવસાય કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેના દ્વારા શ્વાનો પર ક્રૂરતા કરવામાં આવી રહી છે. જેથી યુગ અભિયાન ફાઉન્ડેશનના ડિરેક્ટર આહુતિ યાદવ, દિયા અગ્રવાલ અને તેમના ટીમના સભ્યો સ્થળ પહોંચી આ બાબતની જાણ સ્થાનિક પોલીસને કરી હતી. ઈજાગ્રસ્ત હાલતમાં શ્વાનો મળી આવ્યાકપુરાઇ પોલીસ મથકની ટીમે સ્થળ તપાસ કરતા ત્યાંથી ઈજાગ્રસ્ત હાલતમાં શ્વાનો મળી આવ્યા હતા. જેમને તાત્કાલિક સારવાર અર્થે મોકલી આપી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમન પ્રશાંત દેસાઇ (રહે. નીલકમલ સોસાયટી, નિઝામપુરા, વડોદરા) નામનો વ્યક્તિ “ડોગ એન્ડ કેટ હોસ્ટેલ ઈન” નામથી પાલતુ શ્વાનો માટે હોસ્ટેલ ચલાવે છે. બળજબરીપૂર્વક બંધક બનાવીને રાખવામાં આવતાંપાલતુ શ્વાનોના માલિકો પોતાના શ્વાનો અહિ સાર સંભાળ માટે મૂકી જતાં હોય છે, ત્યારે આ સંસ્થા દ્વારા શ્વાનોની કોઈ પણ પ્રકારની કાળજી લીધા વિના તેમને બળજબરીપૂર્વક બંધક બનાવીને રાખવામાં આવતાં હતા અને ઇજાગ્રસ્ત શ્વાનોને કોઈપણ પ્રકારની સારવાર આપવામાં આવતી ન હતી. યુવક સામે ગુનો નોંધાયોકપુરાઇ પોલીસ દ્વારા પ્રાણી ક્રૂરતા કાયદા હેઠળ અને ભારતીય ન્યાય સંહિતા હેઠળની કલમો મુજબ “ડોગ એન્ડ કેટ હોસ્ટેલ ઈન” ના માલિક અમન દેસાઇ વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. યુગ અભિયાન ફાઉન્ડેશનના ડિરેક્ટર આહુતિ યાદવે જણાવ્યું હતું કે, કોઈ પણ પશુને ઇજા પહોંચે તે રીતે બળજબરીપૂર્વક બંધક બનાવીને રાખવું એ ગુનો બને છે, જેથી તેમને પોલીસ ને જાણ કરી આ બાબતની ફરિયાદ કરી હતી. ‘જોયા જાણ્યા વિના કોઈ પણ હોસ્ટેલમાં શ્વાનો ને ન મુકશો’વધુમાં તેમણે શ્વાન માલિકો ને વિનંતી કરી હતી કે આ રીતે જોયા જાણ્યા વિના કોઈ પણ હોસ્ટેલમાં શ્વાનો ને ન મુકશો અને જો શ્વાન ને હોસ્ટેલમાં મૂકવાની ફરજ પડે છે તો તેની સંપૂર્ણ કાળજી લેવાય છે કે નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ.
ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમવાર રાષ્ટ્રીય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન થવા જઈ રહ્યું છે. 69મી સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા અંતર્ગત આ સ્પર્ધા પ્રભાસપાટણના સદભાવના મેદાન ખાતે 19 થી 31 જાન્યુઆરી, 2026 દરમિયાન યોજાશે. આ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનો માટે અલગ-અલગ વર્ગોમાં રમતો યોજાશે, જેમાં દેશભરના વિવિધ રાજ્યોના ખેલાડીઓ ભાગ લેશે. પ્રાંત અધિકારી વિનોદ જોશીએ માહિતી આપતા જણાવ્યું કે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સહયોગથી આ સ્પર્ધાનું આયોજન કરાયું છે. અંડર-17 બહેનો માટેની સ્પર્ધા 19 થી 23 જાન્યુઆરી દરમિયાન યોજાશે, જ્યારે અંડર-19 ભાઈઓ માટેની સ્પર્ધા 27 થી 31 જાન્યુઆરી, 2026 દરમિયાન યોજાશે. આ સ્પર્ધામાં દેશભરના વિવિધ રાજ્યોની આશરે 35 ટીમો ભાગ લેશે, જેમાં લગભગ 600 ખેલાડીઓ, કોચ અને મેનેજરો સામેલ થશે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના કોચ અને ટ્રેનરોની સેવાઓ સાથે વિવિધ કમિટીઓની રચના કરીને સંકલિત આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધાઓ 20-10-20ના સમય સ્લોટ મુજબ રમાશે અને ભારતના ક્વોલિફાઇડ હેન્ડબોલ રેફરીઓ દ્વારા મેચોનું મૂલ્યાંકન કરાશે. અંડર-17 બહેનોની ટીમોનું રિપોર્ટિંગ 18 જાન્યુઆરીના રોજ અને અંડર-19 ભાઈઓની ટીમોનું રિપોર્ટિંગ 26 જાન્યુઆરીના રોજ રહેશે. તમામ મેચો લીગ કમ નોકઆઉટ પદ્ધતિથી રમાડવામાં આવશે. સદભાવના મેદાન ખાતે હેન્ડબોલ માટે કુલ 4 મેદાનો તૈયાર કરાયા છે, જેમાંથી 2 મેદાનોમાં ફ્લડલાઈટની વ્યવસ્થા છે, જેથી સાંજના સમયે પણ મેચો યોજી શકાય. વહીવટી તંત્ર દ્વારા ખેલાડીઓ, ટેકનિકલ અધિકારીઓ અને સપોર્ટિંગ સ્ટાફ માટે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનથી નિવાસસ્થાન તથા મેદાન સુધી પરિવહન વ્યવસ્થા તેમજ ભોજનની સંપૂર્ણ સુવિધા ઉપલબ્ધ કરાવાશે. ખેલાડીઓનો ઉત્સાહ વધારવા અને આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાને નિહાળવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોને મોટી સંખ્યામાં હાજર રહેવા જાહેર આમંત્રણ અપાયું છે.
સોમનાથ મંદિર પરિસરમાં ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત દૈનિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. આ કાર્યક્રમોમાં ભક્તિ, વીરરસ અને લોકસંસ્કૃતિનો અદ્ભુત સંગમ જોવા મળે છે. આ શ્રેણી હેઠળ યોજાયેલા લોકપ્રિય ગાયક હેમંત જોશીના લાઈવ કૉન્સર્ટમાં શ્રદ્ધાળુઓનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો હતો. કાર્યક્રમની શરૂઆત ગણપતિ વંદના સાથે થઈ હતી. હેમંત જોશીએ ઝડપી હનુમાન ચાલીસા, ‘આઈગીરી નંદનીની…’, ‘શ્રીરામ જય રામ…’ અને ‘અગડ બમ બબમ…’ જેવા ભજનો આધુનિક ફ્યૂઝન સ્ટાઈલમાં રજૂ કર્યા હતા. આ ભજનોએ શ્રદ્ધાળુઓને ઝૂમવા અને થીરકવા મજબૂર કર્યા હતા, જેનાથી ભક્તિરસથી ભરપૂર માહોલ સર્જાયો હતો. ફ્યૂઝન ભક્તિની સાથે-સાથે હેમંત જોશીએ ભારતમાતાની સરહદોની રક્ષા કરતા વીર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે ‘તેરી મિટ્ટી મેં મિલ જાવાં…’ અને ‘દેશ મેરે તેરી શાન પે સદકે…’ જેવા વીરરસથી ભરેલા ગીતો રજૂ કરીને સમગ્ર વાતાવરણને દેશભક્તિના ભાવોથી ભરી દીધું હતું. કાર્યક્રમના પ્રારંભે ભવ્યરાજસિંહ રાજપૂત દ્વારા સોરઠના મહાન વીર હમીરજી ગોહિલની શૌર્ય ગાથાની અસરકારક પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સંત, શૂરા અને દાતારની આ ધરતી પર વીરોની શૌર્યગાથા ખાસ કરીને યુવાવર્ગ માટે પ્રેરણાસ્રોત બની રહી છે. ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત યોજાતા આવા સાંસ્કૃતિક કાર્યક્રમો સોમનાથની ઐતિહાસિક, આધ્યાત્મિક અને રાષ્ટ્રીય ઓળખને વધુ મજબૂત બનાવી રહ્યા છે.
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા ખાતે આવેલા ગ્રામ પંચાયત શોપિંગ સેન્ટર (રિદ્ધિ સિદ્ધિ કમ્યુનિકેશન નજીક) પાસેથી દૂધ ચોરીની ઘટના બની છે. 13 જાન્યુઆરી, 2026ના રોજ રાત્રે આશરે 2:50 વાગ્યે, ચાર અજાણ્યા શખ્સોએ અમૂલ તાજા દૂધનું એક કેરેટ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. સવારે વેપારી દુકાને પહોંચ્યા ત્યારે તેમને દૂધનું એક કેરેટ ઓછું જણાયું હતું. તેમણે નજીકના CCTV ફૂટેજ તપાસતા, તેમાં બે બાઈક પર આવેલા ચાર શખ્સો દૂધ ચોરી કરતા સ્પષ્ટ દેખાયા હતા. ચોરોએ એક સ્પ્લેન્ડર અને એક R15 બાઈકનો ઉપયોગ કર્યો હતો. આ ઘટનાને પગલે પારડી પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈને આ ચોરી અંગે કોઈ માહિતી હોય તો તાત્કાલિક નજીકની પોલીસ ચોકીમાં જાણ કરે.
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી વન ડે ટુર્નામેન્ટની બીજી મેચ આજે રાજકોટમાં રમાવા જઈ રહી છે. રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં દોઢ વાગ્યાથી મેચ શરૂ થશે. 11 વાગ્યાથી પ્રેક્ષકોને ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રવેશ અપાશે. આજની મેચને લઈ રાજકોટ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. મેચ માટે સ્ટેડીયમની આસપાસ પાર્કિંગના 7 સ્થળ નક્કી કરાયા છે. સવારે 10 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી જામનગર-રાજકોટ રોડ પર વાહનો ડાયવર્ટ કરાશે. ખંઢેરી સ્ટેડિયમ પાસે 7 જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થાખંઢેરી સ્ટેડિયમ ખાતે સ્ટેડિયમની આસપાસમાં કુલ 7 જગ્યાએ પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જે પાર્કિંગમાં કુલ 5000 જેટલી મોટરકાર અને 5000થી વધુ ટુ-વ્હીલર પાર્ક થઇ શકે તે મુજબ વ્યવસ્થા કરવામાં આવી છે. આ પાર્કિંગ સરકારી ખરાબા અને અન્ય જગ્યાઓમાં ઉભા કરવામાં આવ્યા છે. આ સિવાય અન્ય કોઈ અનધિકૃત જગ્યામાં વાહનો પાર્કિંગ થશે તો તેમને ટોઇંગ કરી દેવામાં આવશે. લોકોએ પાસ પ્રમાણે વાહન પાર્ક કરવાનું રહેશેજે લોકોને સાઉથ એન્ટ્રી ગેટમાં કાર પાર્કિગનો પાસ મળ્યો છે, તેઓએ મેઇન એન્ટ્રી ગેઇટ-1 ઉપરથી પ્રવેશ મેળવી અને સ્ટેડિયમ પાસેથી ડાબી બાજુ વળી ત્યાંના પાર્કિગમાં વાહન પાર્ક કરવાનુ રહેશે. તેમજ જે લોકોને ઇસ્ટ પાર્કિંગનો પાસ મળ્યો છે તેઓએ શિવ શકિત હોટેલથી યુ-ટર્ન લઇ આઉટર મીડિયા ગેઇટ નં.3થી પ્રવેશ મેળવી સ્ટેડિયમ પાસેથી ડાબી બાજુ વળી ત્યાંના પાર્કિગમાં વાહન પાર્ક કરવાનું રહેશે. રાજકોટ-જામનગર રોડ પર સવારના 10થી રાતના 12 વાગ્યા સુધી ટ્રાફિક ડાઇવર્ટઆ મેચમાં અંદાજિત 30 હજાર જેટલા પ્રેક્ષકો વાહન સાથે આવનાર હોવાથી, ત્યારે આ સ્ટેડિયમ રાજકોટ-જામનગર હાઇવે રોડ ઉપર હોવાથી ટ્રાફિકજામની સમસ્યા સર્જાઇ શકે છે. જેથી કાયદો અને વ્યવસ્થાને ધ્યાને રાખીને ટ્રાફિકજામને નિવારવા માટે રાજકોટ-જામનગર રોડ ઉપર આજે (14 જાન્યુઆરી) સવારના 10 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી ટ્રાફિક ડાઇવર્ટ કરવા પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્યની દરખાસ્તના આધારે જામનગરથી રાજકોટ તરફ આવતા ટ્રક, ટ્રેઈલર અને ટેન્કર જેવા મોટા વાહનોને પડધરી-મોવિયા સર્કલથી ડાઈવર્ઝન આપી ટંકારા થઈ રાજકોટ તરફ આવશે અથવા પડધરી-નેકનામ-મીતાણા થઈ રાજકોટ તરફ આવશે. એજ રીતે રાજકોટથી જામનગર જતા ભારે વાહનોને માધાપર ચોક ખાતેથી ડાયવર્ટ કરવામાં આવશે. બોમ્બ-ડોગ સ્ક્વોડથી ચેકિંગ, ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધરાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરએ જણાવ્યું હતું કે, મેચને લઇ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં 3 એએસપી, 4 ડીવાયએસપી, 14 પીઆઇ, 42 પીએસઆઈ સહીત 700 પોલીસ કર્મી અને 400 ટીઆરબી તેમજ હોમગાર્ડ જવાનોને બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. આ ઉપરાંત SCA તરફથી ખાનગી સિક્યોરિટી બાઉન્સર પણ રાખવામાં આવ્યા છે. અહીંયા ખાસ કંટ્રોલરૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં સતત પોલીસ દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે. બૉમ્બ સ્ક્વોડથી તેમજ ડોગ સ્ક્વોડ મદદથી પણ ચેકિંગ હાથ ધરવામાં આવશે. જ્યારે 100 જેટલા બોડી વોર્ન કેમેરા મદદથી પણ પોલીસ દ્વારા સુરક્ષા રાખવામાં આવશે. જ્યારે સ્ટેડિયમ આસપાસ ડ્રોન ઉડાડવા પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું છે.
એપીકે ફાઈલ ડાઉનલોડ કરતાં ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ઉપડી ગયા
ભારતીય નૌકાદળના નાવિક સાથે છેતરપિંડી બેન્કે જ ફાઈલ મોકલી છે તેવું માની ડાઉનલોડ કરીઃ નકલી બેન્ક મેનેજરનો ફોન પણ આવ્યો મુંબઈ - કોલાબાના નેવલ ડોકયાર્ડમાં તૈનાત ૨૭ વર્ષીય નાવિકને વોટ્સએપ પર બનાવટી ક્રેડિટ કાર્ડની મોબાઈલ એપ્લિકેશન લિંક મોકલીને રુ. ૯૦ હજારથી વધુની છેતરપિંડી કરવામાં આવી હતી. કોલાબા પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
ગોડાઉનના અભાવે મગફળીના ઢગલા:અમરેલીમાં ટેકાના ભાવની ખરીદીથી 13 કેન્દ્રો ભરાયા
અમરેલી જિલ્લામાં ચાલુ સિઝનમાં ટેકાના ભાવે મગફળીની મોટા પાયે ખરીદી થઈ રહી છે. ગોડાઉનમાં પૂરતી જગ્યાના અભાવે જિલ્લાના કુલ 13 ખરીદી કેન્દ્રો પર મગફળીની બોરીઓના મોટા ઢગલા જોવા મળી રહ્યા છે. આ મગફળી હાલ માર્કેટયાર્ડ અને ખુલ્લા મેદાનોમાં સંગ્રહિત કરવામાં આવી છે. આ 13 કેન્દ્રો પૈકી, અમરેલી કેન્દ્ર ખાતે અંદાજે 80 હજાર બોરી, સાવરકુંડલા કેન્દ્રમાં 90 હજાર બોરી, બાબરા કેન્દ્રમાં 50 હજારથી વધુ બોરી, ખાંભા કેન્દ્રમાં 50 હજાર બોરી, કુકાવાવ કેન્દ્રમાં 20 હજાર બોરી, લાઠી કેન્દ્રમાં 25 હજાર બોરી અને ધારી કેન્દ્રમાં અંદાજે 45 હજાર બોરી મગફળીનો ભરાવો થયો છે. સૌથી વધુ ભરાવો સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી રહ્યો છે, જેના ડ્રોન વીડિયો પણ ઉપલબ્ધ છે. મગફળીના આ વિશાળ ઢગલાને કારણે માર્કેટિંગ યાર્ડમાં અન્ય ખેડૂતોના પાક લાવવામાં ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે. ખેડૂતોને પોતાના પાક વેચવા માટે લાંબો સમય રાહ જોવી પડી રહી છે. ખેડૂત ભરતભાઈ ખોખરે જણાવ્યું કે, હું શીંગ લઈને આવ્યો હતો. સાવરકુંડલા સંઘમાં 80થી 90 હજાર ગુણીઓનો સ્ટોક છે. સરકારને વિનંતી છે કે ગોડાઉનની વ્યવસ્થા કરે અને શીંગ જલ્દીથી જલ્દી ઉપડે તેવી વ્યવસ્થા કરે, જેથી બીજા ખેડૂતો જે શીંગ નાખવાની રાહ જોઈ રહ્યા છે, તેમને તક મળે. ખરીદીની તારીખ લંબાવવામાં આવે તો આ સમસ્યાનો ઉકેલ આવી શકે છે. સરકારે આખા અમરેલી જિલ્લામાં સર્જાયેલી આ પરિસ્થિતિ પર ધ્યાન આપવું જોઈએ. અન્ય એક ખેડૂત જીવનભાઈ પ્રજાપતિએ કહ્યું કે, આજે હું શીંગ લઈ આવ્યો છું, પરંતુ અહીં જગ્યા જ નથી કે નવો માલ આવી શકે. જૂની 80 હજાર બોરી તો પડતર છે. જો સરકાર ગોડાઉનની વ્યવસ્થા કરે તો બધા ખેડૂતોની શીંગ વેચાઈ જાય અને બધાનો વારો આવી જાય. આખા જિલ્લામાં આ જ પરિસ્થિતિ છે. નવા ખેડૂતોને વારો આવે તે પહેલાં તારીખ પૂરી થઈ જાય તેમ છે, તેથી ખરીદીની તારીખમાં વધારો કરવામાં આવે તેવી અમારી માંગ છે. સાવરકુંડલા ખરીદ વેચાણ સંઘ પ્રમુખ દિપક માલાણીએ કહ્યું કે, અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા માટે સરકાર માંથી 13 જેટલા કેન્દ્ર મંજુર કર્યા છે. 9 નવેમ્બરથી આ કામગીરીનો પ્રારંભ કર્યો છે. કેટલાક દિવસોથી કેન્દ્રને જરૂરિયાત મુજબ આવેલ મગફળી મોકલવા માટે સ્ટોર્સ માટે ગોડાઉન મલવામાં વિલંબ થાય છે જેના કારણે જોખાય ગયેલ મગફળી ટ્રક માંથી ઉતારી શકાતી નથી. સાવરકુંડલામાં 80 હજાર જેટલી મગફળીની ગુણી ઓ પડી છે. જેના કારણે બાકી રહેલા નવા ખેડૂતને ઉતારવાનો પ્રશન છે. આવી જ રીતે અમરેલી,બાબરા,ખાંભા,કુંકાવાવ, ધારી, ગુણીઓ પડી છે. બીજી બાજુ 17 તારીખ નજીક આવી છે સરકાર દ્વારા 17 તારીખની જાહેરાત અંતિમ કરી હતી, ત્યાં સુધીમાં બાકી રહેલા ખેડૂતોને જો ન બોલાવયે તો વંચિત રહશે જેથી ધારાસભ્ય મારફતે સરકારમાં રજૂઆત કરી છે.
માદુરો બાદ ગ્રીનલેન્ડના પીએમના અપહરણનો વારો? ડોનાલ્ડ ટ્રમ્પે આપી ચોખ્ખી ધમકી
Donald Trump on Greenland : અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડ ખરીદવાની મહત્વાકાંક્ષા હવે એક ગંભીર ધમકીમાં પરિણમી છે. જ્યારે ગ્રીનલેન્ડે સ્પષ્ટપણે કહ્યું કે તે વેચાઉ નથી, ત્યારે ટ્રમ્પે ત્યાંના પ્રીમિયર (વડાપ્રધાન)ને સીધી ધમકી આપી છે, જેના કારણે ગ્રીનલેન્ડમાં ભય અને બેચેનીનો માહોલ છે. ટ્રમ્પના આક્રમક તેવરને કારણે એવી આશંકા સેવાઈ રહી છે કે અમેરિકા વેનેઝુએલા જેવી કોઈ કાર્યવાહી કરી શકે છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ડેનમાર્ક અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. શું છે સમગ્ર મામલો?
પુત્રની 80 લાખની બાકી લોન વસૂલવા વૃદ્ધ માતાનું અપહરણ
જુહુથી કારમાં એકાંત સ્થળે લઇ જઇ વૃદ્ધાને ધમકાવ્યા મુખ્ય આરોપી કુરેશી ફરાર, સાગરિત પકડાયોઃ ગેરકાયદે લોન આપી ધાકધમકીમાં અનેકને નિશાન બનાવ્યાની શંકા મુંબઇ - મુંબઇના બે ખાનગી મની લેન્ડરોએ ૬૩ વર્ષીય એક વૃદ્ધાનું જુહુથી અપહરણ કર્યું હતું અને તેમને કારમાં એકાંત સ્થળે લઇ જઇ ધમકાવ્યા હતા. વૃદ્ધાનો પુત્ર ૮૦ લાખની લોન ચૂકવવામાં નિષ્ફળ ગયો હોવાનો આરોપ કરી આરોપીઓએ આ કૃત્ય કર્યું હતું. આ ઘટના બાદ લોનની કબૂલાત કરતા દસ્તાવેજો પર સહી કર્યા પછી જ તેમને છોડવામાં આવ્યા હતા. આ ઘટના ગયા મહિને બની હતી પણ પોલીસે સોમવારે બેમાંથી એક આરોપીની ધરપકડ કરી હતી અને હવે મુખ્ય આરોપીની શોધ કરી રહી છે.
અમેરિકાને મહાસત્તા તરીકે ટકાવી રાખવા પેન્ટાગોન મરણીયું બન્યું છે
- આર્ટકિટ રિજનમાં ચીનના પગપેસારાના નામે હવે કોઈપણ ભોગે ગ્રીનલેન્ડ કબજે કરવા અમેરિકા તલપાપડ થયું છે, હાલ નવ દેશો સાથે સંઘર્ષ યથાવત્ - હવે અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે કે, હાલમાં દુનિયાની એક જ સર્વોચ્ચ સત્તાનું પદ જતું રહેશે અને દુનિયામાં મલ્ટિપાવર સેન્ટર બની જશે : દુનિયા તેને નબળો પડતો દેશ ન માને તેના કારણે તેણે મરણિયો જંગ આદર્યો છે. તે ક્યાંક દબાણ કરે છે તો ક્યાંક પ્રતિબંધ મુકે છે તો ક્યાંક દુશ્મનના દુશ્મનને દોસ્ત બનાવે છે તો ક્યાંક શક્તિ પ્રદર્શન કરે છે : સર્વોચ્ચ મહાસત્તા બની રહેવાનું દબાણ કે પછી રશિયા, ચીન, ભારતના વધતા પ્રભાવને અટકાવવા અને ઈરાનને કચડવા આક્રમક પગલા : અમેરિકા ‘Sanctioning Russia Act of 2025' નામના નવા કાયદા એવા તમામ દેશો ઉપર ૫૦૦ ટકા તોતિંગ ટેરિફ લગાવશે જેઓ રશિયા પાસેથી ક્રૂડ અથવા તો યુરેનિયમ ખરીદે છે, ખાસ કરીને ચીન અને ભારત ઉપર પેન્ટાગોન હાલમાં મરણિયું થયેલું છે. કોઈપણ ભોગે સમગ્ર વિશ્વમાં અમેરિકાને મહાસત્તા તરીકે યથાવત્ રાખવા માટે તેણે તમામ સ્તરે પ્રયાસ શરૂ કરી દીધા છે. હાલમાં ગ્રીનલેન્ડને કબજે કરવાની જાહેરાત ટ્રમ્પના માધ્યમથી કરાવાઈ છે.
ઉત્તરાયણના તહેવાર પર મહાનગરોથી લઈ ગામડાની બજારોમાં માંજાનું વેચાણ થાય છે. પરંતુ, આજે 70 વર્ષ બાદ પણ 'ભગવાનદાસ માંજા'નો બધાની વચ્ચે દબદબો જળવાઈ રહ્યો છે. 1957માં શરૂ થયેલી ભગવાનદાસ માંજાની સફર આજે સાત દાયકા બાદ પણ ચાલી રહી છે. ભગવાનદાસ પરિવારની ત્રીજી પેઢી આ ધંધામાં જોડાયેલી છે. 70 વર્ષ પહેલા પરિવારના વડીલોએ જે 'સિક્રેટ' સાથે માંજો બનાવવાની શરૂઆત કરી હતી તે જ પરંપરાને આજની પેઢીએ જાળવી રાખી છે. તાપીના પાણી, દેશી ગુંદર, બલ્બના ઝીણા કાચ અને બરેલીના ઉસ્તાદોરની મહેનતથી તૈયાર થતો માંજો આજે પણ પતંગબાજોની પહેલી પસંદ છે. ભગવાનદાસ માંજાની ધાર પાછળનું સિક્રેટ શું છે તે જાણવા દિવ્ય ભાસ્કરે ભગવાનદાસ પરિવારની ત્રીજી પેઢીના લોકો સાથે વાતચીત કરી હતી. 'ભગવાનદાસ માંજા'ની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ?સુરતના ડબગરવાડ અને ભાગળ વિસ્તારના ઈતિહાસમાં વર્ષ 1957 એક સુવર્ણ અક્ષરે લખાયેલું વર્ષ છે. આ એ સમય હતો જ્યારે ભારત આઝાદીના દસ વર્ષ પૂર્ણ કરી રહ્યું હતું અને સુરત પોતાની વ્યાપારી પાંખો ફેલાવી રહ્યું હતું. તે સમયે બે સગા ભાઈઓ, ભગવાનદાસ અને હસમુખભાઈએ, ખૂબ જ મર્યાદિત સાધનો સાથે માંજા બનાવવાની શરૂઆત કરી. શરૂઆતમાં તેઓ ભાગળ કોટ સફિલ રોડ પર માત્ર 15 બાય 10 ના એક નાનકડા ઓરડામાં રહેતા હતા. આ ઓરડો જ તેમનું ઘર હતું અને આ જ તેમની વર્કશોપ હતી. રસ્તાના કિનારે બેસીને, ધૂળ અને ગરમીની પરવા કર્યા વગર, તેમણે દોરાને ધાર આપવાનું કામ શરૂ કર્યું. તે સમયે પતંગની દોરી બનાવવી એ માત્ર સીઝનલ ધંધો હતો, પરંતુ આ બે ભાઈઓએ તેને એક કળા તરીકે સ્વીકારી. તેમના જીવનનો મંત્ર હતો કે ગ્રાહકને એવી દોરી આપવી કે જે એકવાર વાપરે તે બીજીવાર બીજે ક્યાંય ન જાય. શરૂઆતના દિવસોમાં સાયકલ પર જઈને દોરા લાવવા અને રાત-દિવસ એક કરીને લૂગદી તૈયાર કરવી એ તેમનો નિત્યક્રમ હતો. ભગવાનદાસભાઈની દ્રષ્ટિ અને હસમુખભાઈની મહેનતે એક એવો પાયો નાખ્યો કે જેના પર આજે એક વિશાળ વ્યાપારી ઈમારત ઉભી છે. આ સંઘર્ષ માત્ર આર્થિક નહોતો, પણ એક એવી બ્રાન્ડ ઉભી કરવાનો હતો જે આવનારા દાયકાઓ સુધી અડીખમ રહે. આજે જ્યારે આપણે કરોડોના ટર્નઓવરની વાત કરીએ છીએ, ત્યારે તેની પાછળ તે 15 બાય 10 ના ઓરડામાં વહેલા પરસેવાની મહેક છુપાયેલી છે. 'ભગવાનદાસ માંજા'ની બનાવટમાં તાપીના પાણીની કમાલદુનિયાભરમાં માંજો અનેક જગ્યાએ બને છે—બરેલી, અમદાવાદ, દિલ્હી કે લખનૌ—પરંતુ સુરતી માંજાની જે 'કાટ' છે તે ક્યાંય જોવા મળતી નથી. આની પાછળનું સૌથી મોટું અને વૈજ્ઞાનિક કારણ છે સુરતની જીવાદોરી સમાન તાપી નદીનું પાણી.ભગવાનદાસ પરિવારના મતે, તાપીના પાણીમાં રહેલા મિનરલ્સ અને પીએચ લેવલ માંજાની લૂગદી માટે આશીર્વાદ સમાન છે. જ્યારે કાચનો પાવડર, ચોખાની કણકી, અને વિવિધ કેમિકલ્સને તાપીના પાણીમાં મિશ્ર કરવામાં આવે છે, ત્યારે એક એવી રાસાયણિક પ્રક્રિયા થાય છે જે દોરાના રેસાઓને અંદર સુધી મજબૂત બનાવે છે. સુરત સિવાય અન્ય શહેરોમાં જ્યારે આજ કારીગરો માંજો બનાવે છે, ત્યારે ત્યાંના પાણીની ક્ષારયુક્તતા અથવા અશુદ્ધિઓને કારણે લૂગદી દોરા પર બરાબર ચોંટતી નથી, પરિણામે થોડા પેચ લડાવ્યા પછી દોરી 'નરમ' પડી જાય છે. પરંતુ ભગવાનદાસનો માંજો તાપીના પાણીને કારણે પથ્થર જેવો કઠણ અને કાચ જેવો ધારદાર રહે છે. આ પાણીના પ્રતાપે જ દોરીનો રંગ પણ લાંબા સમય સુધી ઉતરતો નથી. સુરતના ગરમ અને ભેજવાળા વાતાવરણમાં જ્યારે આ દોરી સુકાય છે, ત્યારે તેની કુદરતી મજબૂતીમાં અનેકગણો વધારો થાય છે. આ જ કારણ છે કે મોટા મોટા પતંગબાજો પણ માને છે કે જો સુરતનું પાણી માંજાને ન લાગે, તો તે માંજો 'નિર્જીવ' છે. ભગવાનદાસ પરિવારે આ પરંપરાગત જ્ઞાનને પેઢી દર પેઢી સાચવી રાખ્યું છે અને આજે પણ તેઓ માંજો બનાવવામાં પાણીની ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપે છે. માંજો બનાવવા માટે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ?માંજો બનાવવો એ કોઈ મશીનરીનું કામ નથી, પણ સંપૂર્ણપણે માનવ કૌશલ્ય પર આધારિત પ્રક્રિયા છે. ભગવાનદાસના માંજામાં સૌથી મહત્વનો ભાગ છે તેની 'લૂગદી' અથવા 'મસાલો'. આ મસાલો તૈયાર કરવા માટે ઉત્તમ ગુણવત્તાના ચોખાને બાફીને તેની કણકી બનાવવામાં આવે છે, જેમાં દેશી ગુંદર, સાંકળ-8 ના બોબીનનો પાયો અને અત્યંત ઝીણો પીસેલો બલ્બનો કાચ ઉમેરવામાં આવે છે. આ મિશ્રણને ચોક્કસ તાપમાને ઉકાળવામાં આવે છે જેથી તે દોરા પર બરાબર પકડ જમાવી શકે. જ્યારે લૂગદી તૈયાર થાય, ત્યારે નિષ્ણાત કારીગરો તેને પોતાના હાથની હથેળીમાં લે છે. એક બાજુ ચરખો ફરતો હોય અને બીજી બાજુ કારીગર દોરાને પોતાની આંગળીઓની 'ચપટી' માંથી પસાર કરે છે. આ ચપટીનું દબાણ કેટલું રાખવું તે માત્ર વર્ષોના અનુભવથી જ શીખી શકાય છે. જો દબાણ વધુ હોય તો દોરો તૂટી જાય, અને જો ઓછું હોય તો ધાર ન આવે. ચરખા પર જ્યારે દોરો વીંટાય છે, ત્યારે તેના પર કાચનું એક એવું લેયર ચઢે છે જે નરી આંખે જોવું મુશ્કેલ છે પણ પેચ લડાવતી વખતે તે તલવાર જેવું કામ કરે છે. ભગવાનદાસની આ ચરખા સિસ્ટમ આજે પણ વર્ષો જૂની પદ્ધતિથી જ ચાલે છે, કારણ કે મશીનથી બનેલા માંજામાં એ 'જીવ' હોતો નથી જે હાથથી બનાવેલા માંજામાં હોય છે. આ પ્રક્રિયામાં તાપમાન અને પવનની દિશા પણ મહત્વનો ભાગ ભજવે છે. પતંગ અને માંજાની દુનિયાની 'વોલ સ્ટ્રીટ' એટલે સુરતનું ડબગરવાડસુરતનું ડબગરવાડ એટલે માત્ર ગીચ ગલીઓનો વિસ્તાર નહીં, પણ પતંગ અને માંજાની દુનિયાનું 'વોલ સ્ટ્રીટ'. અહીંની હવામાં જ માંજાની સુગંધ અને ચરખાનો અવાજ વણાયેલો છે. ભગવાનદાસના નામનો 'સિક્કો' અહીં એટલો જોરથી ચાલે છે કે વિદેશી ગ્રાહકો પણ ડાયરેક્ટ અહીં જ આવે છે. આજે સુરતી માંજો માત્ર પાડોશી દેશો જેવા કે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં જ નહીં પણ અમેરિકાના કેલિફોર્નિયા, કેનેડાના ટોરન્ટો, લંડન અને ઓસ્ટ્રેલિયા સુધી પહોંચી રહ્યો છે. ત્યાં વસતા ગુજરાતીઓ જ્યારે ઉત્તરાયણ મનાવે છે ત્યારે તેઓ ખાસ ભગવાનદાસની ફીરકીઓ કુરિયર કરાવે છે અથવા ભારત પ્રવાસે આવતી વખતે સાથે લઈ જાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભગવાનદાસના માંજાની માંગ એટલી છે કે ઘણીવાર સીઝન શરૂ થયાના બે મહિના પહેલા જ સ્ટોક બુક થઈ જાય છે. NRI ગ્રાહકો માટે ખાસ 'પ્રીમિયમ કોટન' માંજો તૈયાર કરવામાં આવે છે જે વિદેશી પવનોમાં પણ પતંગને સ્થિર રાખે છે. ભગવાનદાસે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ગુડવિલ એવી બનાવી છે કે, ગ્રાહક કિંમત પૂછ્યા વગર માત્ર 'ભગવાનદાસ'નું લેબલ જોઈને ઓર્ડર આપે છે. ડબગરવાડની આ સાંકડી ગલીઓમાંથી નીકળેલી ફીરકી જ્યારે ન્યૂયોર્કની ગગનચુંબી ઈમારતો વચ્ચે પતંગ કાપે છે, ત્યારે તે સુરતના ગૌરવમાં વધારો કરે છે. MBBSની ડિગ્રી મેળવ્યા બાદ પણ ત્રીજી પેઢીનો યુવક ધંધાથી દૂર ન થયોપરિવર્તનના આ યુગમાં જ્યારે નવી પેઢી પોતાના ફેમિલી બિઝનેસથી દૂર ભાગે છે, ત્યારે ભગવાનદાસ પરિવારમાં એક અનોખી ઘટના જોવા મળી છે. ત્રીજી પેઢીના ધૃવિલ, જેણે MBBS જેવી ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી છે, તેણે હોસ્પિટલના એસી કેબિનમાં બેસવાને બદલે ડબગરવાડની ધૂળ અને રંગો વચ્ચે બેસીને પોતાના દાદા-પિતાનો વારસો સાચવવાનું નક્કી કર્યું છે. ધૃવિલનું માનવું છે કે, ડોક્ટરી એ વ્યવસાય છે પણ માંજો એ તેમનો લોહીમાં વણાયેલો સંસ્કાર છે. એક ભણેલી-ગણેલી વ્યક્તિ જ્યારે આ વ્યવસાયમાં આવે છે, ત્યારે તે ટેકનોલોજી અને નવીન વિચારો લાવે છે. ધૃવિલે માંજાના પેકેજિંગ, ઓનલાઇન માર્કેટિંગ અને ગ્રાહક સેવાને આધુનિક બનાવી છે. આજે ભગવાન પતંગ ભંડાર ડિજિટલ પ્લેટફોર્મ પર પણ એટલો જ સક્રિય છે. ડોક્ટર હોવાને કારણે તે માંજાની પ્રક્રિયામાં વપરાતા કેમિકલ્સની સેફ્ટી અને ગુણવત્તા પર પણ વિશેષ ધ્યાન આપે છે. આ સમર્પણ જ દર્શાવે છે કે ભગવાનદાસ નામની પાછળ માત્ર નફો નથી, પણ એક અતૂટ લાગણી છે. ધૃવિલ જેવા યુવાનોને કારણે જ આજે પતંગ ઉદ્યોગને એક નવી દિશા મળી છે. આ ઉદાહરણ આખા સુરત માટે પ્રેરણારૂપ છે કે ગમે તેટલા ભણો, પણ પોતાના મૂળિયાને ક્યારેય ભૂલવા જોઈએ નહીં. મોટાભાગનો માંજો ઉનાળાના ચાર મહિનામાં જ તૈયાર થઈ જાયઉત્તરાયણનો તહેવાર ભલે જાન્યુઆરીમાં માત્ર બે દિવસ માટે આવતો હોય, પરંતુ ભગવાનદાસ પરિવાર માટે આ એક 365 દિવસનો અવિરત યજ્ઞ છે. 14મી જાન્યુઆરીએ જ્યારે આકાશ પતંગોથી ખાલી થાય છે, ત્યારે માત્ર બે મહિનાના ટૂંકા વિરામ બાદ, એટલે કે હોળી-ધૂળેટી પછી તરત જ માર્ચ મહિનામાં નવા વર્ષની તૈયારીઓ શરૂ થઈ જાય છે. આ સમય પસંદ કરવા પાછળનું મુખ્ય કારણ ઉનાળાનો આકરો તાપ છે. માંજો બનાવવા માટે સૂર્યપ્રકાશ સૌથી મહત્વનું ઘટક છે. જ્યારે માંજા પર લૂગદી ચઢાવવામાં આવે છે, ત્યારે તેને કુદરતી રીતે સુકવવા માટે 40 ડિગ્રીથી વધુ તાપમાનની જરૂર પડે છે. જો માંજો ભેજવાળા વાતાવરણમાં સુકાય તો તેની ધાર નરમ પડી જાય છે, પરંતુ માર્ચથી જૂન મહિના સુધીના કાળઝાળ તડકામાં જે માંજો તૈયાર થાય છે, તેની મજબૂતી પથ્થર જેવી હોય છે. ભગવાનદાસ પરિવાર આ ચાર મહિના દરમિયાન હજારો કિલોમીટર લાંબો દોરો તૈયાર કરે છે. આ પ્રક્રિયામાં સમયબદ્ધતા ખૂબ જરૂરી છે. કારીગરો વહેલી સવારે 4 વાગ્યાથી કામે લાગી જાય છે જેથી બપોરની લૂ શરૂ થાય તે પહેલા લૂગદી ચઢી જાય. ચોમાસામાં જ્યારે કામ બંધ હોય છે, ત્યારે આ તૈયાર થયેલા માંજાને ખાસ ભેજ રહિત ગોદામોમાં રાખવામાં આવે છે. દિવાળી પછી ફરીથી ફીરકી પર વીંટવાનું અને પેકેજિંગનું કામ જોરશોરથી શરૂ થાય છે. આ આખું ચક્ર દર્શાવે છે કે એક ઉત્તમ ફીરકી પાછળ મહિનાઓની ધીરજ અને પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય છુપાયેલું છે. કારીગરોનું સ્થળાંતર અને સુરત-બરેલી પદ્ધતિનો સમન્વયમાંજો બનાવવાની કળામાં કારીગરોની ભૂમિકા સૌથી મહત્વની છે. પહેલાના સમયમાં સુરતમાં જ અનેક સ્થાનિક કારીગરો હતા, પરંતુ સમય જતાં નવી પેઢી આ મહેનતવાળા કામથી દૂર થઈ રહી છે. આ પરિસ્થિતિમાં ભગવાનદાસ પરિવારે ઉત્તર પ્રદેશના બરેલી, લખનૌ અને મુરાદાબાદથી કુશળ 'ઉસ્તાદો' ને સુરત બોલાવ્યા છે. આ કારીગરો પેઢી દર પેઢી દોરી ઘસવાનું કામ કરે છે. સુરતમાં અત્યારે એક અનોખો સમન્વય જોવા મળે છે—બરેલીના કારીગરો અને સુરતની લૂગદી. બરેલીની દોરી મૂળભૂત રીતે 'ખેંચ' ના પેચ માટે જાણીતી છે, જે ખૂબ જ લીસી અને ધારદાર હોય છે. જ્યારે સુરતી માંજો 'ઢીલ' ના પેચ માટે મજબૂત પકડ ધરાવે છે. ભગવાનદાસે આ બંને પદ્ધતિઓનું મિશ્રણ કરીને એક નવો જ પ્રકારનો માંજો તૈયાર કર્યો છે, જે ખેંચ અને ઢીલ બંનેમાં અજેય સાબિત થાય છે. આ કારીગરો દિવાળી પછી સુરતમાં ધામા નાખે છે અને ઉત્તરાયણ સુધી દિવસ-રાત એક કરે છે. ભગવાનદાસ પરિવાર આ કારીગરોને માત્ર મજૂર નહીં, પણ કલાકાર માને છે. તેમના રહેવા, ખાવા અને સ્વાસ્થ્યની જવાબદારી પરિવાર ઉપાડે છે. આ અતૂટ સંબંધને કારણે જ દાયકાઓથી એ જ કારીગરો દર વર્ષે સુરત આવે છે. આ શ્રમિકોના પરસેવા અને સુરતના પાણીના મિશ્રણથી જે પ્રોડક્ટ તૈયાર થાય છે, તે આભમાં પતંગોનું રાજ સ્થાપે છે. પેચ લડાવવાનું વિજ્ઞાન: ઢીલ વિરુદ્ધ ખેંચ અને માંજાની ભૂમિકાપતંગબાજી એ માત્ર મનોરંજન નથી, પણ એક ભૌતિકશાસ્ત્ર છે. જ્યારે બે પતંગો આકાશમાં પેચ લડાવે છે, ત્યારે માંજાની ગુણવત્તા જ હાર-જીત નક્કી કરે છે. પતંગબાજીમાં મુખ્યત્વે બે ટેકનિક હોય છે: 'ખેંચ' અને 'ઢીલ'. ભગવાનદાસનો માંજો ખાસ કરીને ઢીલના પેચ માટે 'કિંગ' માનવામાં આવે છે. તેની સપાટી પર રહેલા કાચના કણો એવી રીતે ગોઠવાયેલા હોય છે કે જ્યારે તે સામેવાળી દોરી સાથે ટકરાય છે, ત્યારે તે કરવતની જેમ કામ કરે છે. સામેવાળી દોરી ગમે તેટલી મજબૂત હોય, પણ જો તે ભગવાનદાસના માંજાના ઘર્ષણમાં આવે તો તે સેકન્ડોમાં કપાઈ જાય છે. ભગવાનદાસના માંજામાં વપરાતો દોરો 'સાંકળ-8' ગુણવત્તાનો હોય છે, જે વજનમાં હલકો હોવા છતાં અત્યંત મજબૂત હોય છે. હલકો હોવાને કારણે પતંગ દૂર સુધી જઈ શકે છે અને મજબૂત હોવાને કારણે તે હવામાં આવતા દબાણને સહન કરી શકે છે. ઘણા પ્રોફેશનલ પતંગબાજો પવનની ગતિ મુજબ માંજાની પસંદગી કરે છે. જો પવન તેજ હોય તો તેઓ થોડો જાડો માંજો પસંદ કરે છે, અને જો પવન ઓછો હોય તો બારીક પણ ધારદાર માંજો વાપરે છે. ભગવાનદાસની દુકાને ગ્રાહકોને તેમની પતંગ ચગાવવાની શૈલી મુજબ માંજો સજેસ્ટ કરવામાં આવે છે. માંજાની બનાવટમાં પક્ષીઓની પણ ચિંતાએક જવાબદાર વેપારી તરીકે, ભગવાનદાસ પરિવારે હંમેશા પક્ષીઓની સુરક્ષા અને પર્યાવરણનો ખ્યાલ રાખ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ચાઈનીઝ માંજા ને કારણે પક્ષીઓ અને મનુષ્યોના જીવ જોખમમાં મૂકાયા છે. ભગવાનદાસ પરિવારે હંમેશા ચાઈનીઝ માંજાનો વિરોધ કર્યો છે અને માત્ર સુતરાઉ દોરાના માંજાના જ પ્રચાર કર્યો છે. સુતરાઉ દોરો કુદરતી રીતે નાશવંત છે, એટલે કે જો તે ઝાડ પર ફસાઈ જાય તો પણ થોડા સમયમાં તે સડીને તૂટી જાય છે, જેનાથી પક્ષીઓને લાંબા ગાળાનું નુકસાન થતું નથી. વધુમાં, ભગવાનદાસના માંજામાં મેટાલિક પાવડરનો ઉપયોગ કરવામાં આવતો નથી, જે વીજળીના વાયરોમાં શોર્ટ સર્કિટ થતા અટકાવે છે. ઉત્તરાયણ પહેલા આ પરિવાર ગ્રાહકોને જાગૃત કરે છે કે સવારે વહેલા અને સાંજે પક્ષીઓના ઉડવાના સમયે પતંગ ન ચગાવવી જોઈએ. તેઓ પક્ષીઓના રેસ્ક્યુ માટે કામ કરતી સંસ્થાઓને પણ આર્થિક મદદ કરે છે. વ્યવસાયની સાથે સાથે સમાજ અને પ્રકૃતિ પ્રત્યેની આ સંવેદનશીલતા તેમને અન્ય વેપારીઓથી અલગ પાડે છે. 'કાઈપો છે' ના આનંદમાં કોઈનો જીવ ન જાય, તે જોવાની જવાબદારી આ પરિવાર પોતાના ખભે લે છે. પેકેજિંગ અને બ્રાન્ડિંગનું મહત્વ પહેલાના સમયમાં માંજો સાદી કાગળની પટ્ટીમાં વીંટીને આપવામાં આવતો હતો, પરંતુ ભગવાનદાસે બ્રાન્ડિંગનું મહત્વ સમજ્યું. તેમણે પોતાની ફીરકીઓ માટે ખાસ પ્રકારની પ્લાસ્ટિક અને લાકડાની ફીરકીઓ ડિઝાઇન કરાવી છે, જેના પર તેમનો આઈકોનિક લોગો અને 'ભગવાનદાસ' નામ સુવાચ્ય અક્ષરે લખેલું હોય છે. ફીરકીનું પેકેજિંગ પણ આકર્ષક બનાવવામાં આવ્યું છે જેથી તે ગિફ્ટ આપવા માટે પણ ઉત્તમ લાગે. વિદેશ મોકલવા માટે ખાસ એર-ટાઈટ પેકેજિંગ કરવામાં આવે છે જેથી રસ્તામાં ભેજને કારણે માંજાની ધાર ખરાબ ન થાય. દરેક ફીરકી પર બેચ નંબર અને ઉત્પાદનની તારીખ હોય છે, જે તેની ઓથેન્ટિસિટી સાબિત કરે છે. તેમની 'બ્લેક ડાયમંડ', 'ક્રિસ્ટલ' અને 'ગોલ્ડ' જેવી વેરાયટીઓ તેમના પ્રીમિયમ પેકેજિંગ માટે જાણીતી છે. ગ્રાહકો જ્યારે દુકાને આવે છે ત્યારે તેમને વિવિધ કલરના લેબલો જોવા મળે છે, જે માંજાની ક્વોલિટી અને કિંમત સૂચવે છે. આ વ્યવસ્થિત બ્રાન્ડિંગને કારણે જ આજે લોકો બજારમાં મને ભગવાનદાસની ગોલ્ડ ફીરકી આપો તેમ કહીને માંગણી કરે છે. સુરતી ડાયસ્પોરા અને ગ્લોબલ ડિમાન્ડસુરતીઓ દુનિયાના કોઈપણ ખૂણે જાય, પણ ઉત્તરાયણ અને સુરતી માંજો ક્યારેય ભૂલતા નથી. લંડનના હેરો વિસ્તારમાં કે અમેરિકાના ન્યૂ જર્સીમાં વસતા હજારો સુરતી પરિવારો માટે જાન્યુઆરી મહિનો એટલે હોમસિકનેસનો સમય હોય છે. આ ખોટ પૂરી કરવાનું કામ ભગવાનદાસનો માંજો કરે છે. દર વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં ભગવાનદાસની દુકાનેથી સેંકડો પાર્સલ વિદેશ રવાના થાય છે. વિદેશમાં પતંગ ચગાવવાના નિયમો કડક હોવા છતાં, ત્યાં રહેતા ભારતીયો ખાસ પરવાનગી લઈને પતંગ મહોત્સવ યોજે છે અને તેમાં ભગવાનદાસનો માંજો શાન બને છે. વિદેશી મિત્રો પણ આ દોરીની મજબૂતી જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. આ ગ્લોબલ ડિમાન્ડને કારણે ભગવાનદાસ પરિવાર હવે ઇન્ટરનેશનલ શિપિંગમાં એક્સપર્ટ બની ગયો છે. વિદેશી ચલણમાં થતી આ કમાણી સુરતના અર્થતંત્રમાં પણ ફાળો આપે છે. આ રીતે, એક નાનકડી દુકાન આજે ભારતની સોફ્ટ પાવર અને સંસ્કૃતિને વિદેશમાં ફેલાવવાનું માધ્યમ બની છે. સિઝનલ રોજગારી અને અર્થતંત્રમાં ફાળોપતંગ ઉદ્યોગ સુરતના હજારો ગરીબ પરિવારો માટે રોજગારીનું સાધન છે. ભગવાનદાસ જેવી મોટી પેઢીઓ જ્યારે મોટા પાયે ઉત્પાદન કરે છે, ત્યારે તેમાં માત્ર માંજો ઘસનારા જ નહીં, પણ ફીરકી બનાવનારા સુથારો, લેબલ છાપનારા પ્રિન્ટરો, અને ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા લોકોનો પણ સમાવેશ થાય છે. ઉત્તરાયણની સીઝન દરમિયાન સુરતમાં અંદાજે 300 કરોડનો વેપાર થાય છે, જેમાં મોટો હિસ્સો માંજાનો હોય છે. ભગવાનદાસ પરિવાર આ આર્થિક ચક્રનું એક મહત્વનું એન્જિન છે. મહિલાઓ પણ ઘરે બેઠા ફીરકીઓ પર દોરી વીંટવાનું કામ કરીને વધારાની આવક મેળવે છે. આ રીતે, આ વ્યવસાય માત્ર એક પરિવારની સમૃદ્ધિ નથી, પણ આખા સમાજને આર્થિક ટેકો આપતું માધ્યમ છે. લગભગ 30 જેટલા કારીગરો ને રોજગાર મળે છે. પક્ષીઓને 100 ટકા સુરક્ષિત રાખતો માંજો તૈયાર કરવાનું વિઝનઆગામી વર્ષોમાં ભગવાનદાસ પરિવાર પોતાના બિઝનેસને વધુ પ્રોફેશનલ બનાવવા માંગે છે. તેઓ એક એવું સેન્ટર ઉભું કરવા માંગે છે જ્યાં પ્રવાસીઓ આવીને જોઈ શકે કે સુરતી માંજો કેવી રીતે બને છે (Kite Tourism). આ ઉપરાંત, તેઓ ઇકો-ફ્રેન્ડલી માંજા પર વધુ સંશોધન કરી રહ્યા છે જે પક્ષીઓ માટે 100% સુરક્ષિત હોય. મશીનરીનો ઉપયોગ ઓછો રાખીને હાથની કળાને કેવી રીતે જાળવી રાખવી, તે તેમનું મુખ્ય વિઝન છે. તેઓ ઈચ્છે છે કે સુરતનો આ વારસો ક્યારેય લુપ્ત ન થાય અને 'ભગવાનદાસ' નામ આવનારી ઘણી સદીઓ સુધી પતંગ જગતમાં ગુંજતું રહે. સુરત નહીં ગુજરાતના અન્ય શહેરોમાં પણ ભગવાનદાસ માંજાની ડીમાન્ડગ્રાહક ઇકબાલ કડીવાળાએ જણાવ્યું હતું કે, હું છેલ્લા 25 વર્ષથી ‘ભગવાનદાસ’ માં પ્રકાશભાઈ પાસે દોરી લેવા આવું છું કારણ કે મારા મિત્રો અમદાવાદ, વડોદરા અને બધી જ હોસ્પિટલોમાં છે. આજે પણ મને વડોદરાથી એક કોલ આવ્યો અને તરત જ આવ્યો છું કે ‘ભગવાનદાસ’ માં પ્રકાશભાઈની ક્રિસ્ટલ દોરી, ખાસ કરીને બરેલી અને ક્રિસ્ટલ દોરી માટે હું આવ્યો છું અને મને ખ્યાલ છે ત્યાં સુધી કોઈ દિવસ એવી કોઈ ફરિયાદ આવી નથી કે દોરી ખરાબ નીકળી. ઓલ્વેઝ એવું જ કહેવામાં આવે છે કે સુરતથી જ દોરી અને તે હોય ભગવાનની જ જોઈએ અને તે પણ ક્રિસ્ટલ બોક્સ વાળી અને ખૂબ મજા લૂંટતા હોય છે. જ્યારે પણ મિત્રોને પાછા મળીએ ઉતરાણ પછી ત્યારે એમના મોં માંથી થેન્ક્યુ તો અવશ્ય હોય છે.
દર વર્ષની જેમ આ વખતે પણ અમદાવાદમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ યોજાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે સોમવારે પતંગ ઉડાવી હતી. આ વર્ષે 50 દેશોના 135 આંતરરાષ્ટ્રીય પતંગબાજો અને ગુજરાત સહિત ભારતના 14 રાજ્યોમાંથી 871 પતંગબાજો એમ કુલ મળીને 1,071 પતંગબાજોએ આ પતંગ મહોત્સવમાં ભાગ લીધો છે. વિદેશીઓને પતંગના ઠુમકા મારતા જોવા એ હંમેશા પતંગ મહોત્સવનું આકર્ષણ રહ્યું છે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ વિદેશીઓ પતંગ મહોત્સવમાં કેવી રીતે આવે છે? તેમને કેવી રીતે ખબર પડે છે કે દર વર્ષે ગુજરાતમાં આવો કોઇ પતંગ મહોત્સવ યોજાય છે? શું તેમને પતંગ મહોત્સવમાં ભાગ લેવા માટે આમંત્રણ અપાય છે? શું તેમને અહીં આવવા બદલ કોઇ ફી ચુકવવામાં આવે છે. આવા અનેક સવાલોના જવાબ મેળવવા દિવ્ય ભાસ્કરે વિદેશી પતંગબાજો સાથે વાતચીત કરી હતી. પતંગ મહોત્સવમાં તમે જે વિદેશીઓને જુઓ છો તેમને ખાસ બોલાવાય છે. ગુજરાત ટુરિઝમ આ વિદેશી પતંગબાજોને અહીં રહેવાની, જમવાની, આસપાસમાં ફરવાની પણ સુવિધા આપે છે. શહેરની ફોર સ્ટાર હોટલમાં વિદેશીઓને ઉતારો અપાય છે. આ વાત ખુદ વિદેશી પતંગબાજોએ જ ભાસ્કરને કહી છે. અમદાવાદના પતંગ મહોત્સવમાં ભાગ લેવા માટે તુર્કી, અમેરિકા, રશિયા અને આયર્લેન્ડ સહિતના દેશોમાંથી પતંગબાજો પણ આવ્યા છે. કોઇ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલું છે તો કોઇ નાનપણથી જ પતંગ ચગાવતા શીખ્યું છે. સૌથી પહેલાં અમે તુર્કીથી આવેલા સેન સાથે વાતચીત કરી હતી. 10 વર્ષથી પતંગ ઉડાવે છેતુર્કીમાં કાઇટ કોલેબ નામની એક સંસ્થા ચાલે છે. જેના થકી સેને કાઇટ ફેસ્ટિવલ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તે તુર્કીમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. સેન કહે છે કે, હું નાનો હતો ત્યારથી જ મને પતંગનો શોખ હતો. મેં મારી રીતે પતંગ બનાવવાની શરૂઆત કરી હતી. જેમ મોટો થયો તેમ અમને આ મોટી પતંગો વિશે ખબર પડી અને અમે તે ઉડાવવાની શરૂઆત કરી. છેલ્લા 10 વર્ષથી હું કાઇટિંગ કરી રહ્યો છું. સેનને 3 વર્ષ અગાઉ અમદાવાદના કાઇટ ફેસ્ટિવલ વિશે જાણકારી મળી હતી. જો કે એ સમયે તે કોઇ કારણોસર આવી શક્યો નહોતો. દરેકને અલગ સ્ટોલ અપાયોસેન કહે છે કે, અહીંની વ્યવસ્થા ખૂબ સારી છે. કોઇ મને પૂછે કે ભારતની સૌથી બેસ્ટ બાબત કઇ છે તો હું કહીશ કે અહીંના લોકો ખૂબ સારા છે. હું આગામી સમયમાં પણ આ કાઇટ ફેસ્ટિવલમાં આવીશ. રશિયન નાગરિક વિક્ટર પહેલી વખત ભારત પ્રવાસે આવ્યો છે. તે મોસ્કોમાં રહે છે અને 3 વર્ષ પહેલાં પતંગ ચગાવતા શીખ્યો હતો. વિક્ટરે જણાવ્યું કે તેને ગુજરાત ટુરિઝમે પતંગ મહોત્સવમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું. રશિયન નાગરિકે ગુજરાતની પ્રશંસા કરીતેણે કહ્યું કે, અહીં ભાગ લેવા માટે અમને કોઇ પેમેન્ટ તો નથી મળતું પણ હોટલ, ફૂડ, ટ્રાવેલ સહિતની સુવિધા પૂરી પાડવામાં આવે છે. અનેક દેશના લોકો અહીં આવ્યા છે. આ મહોત્સવને હું ખૂબ સારી રીતે માણી રહ્યો છું. મેં અહીં આવીને ઘણા નવા મિત્રો બનાવ્યા છે. નીક ઓનિયલ નામની મહિલા અમેરિકાની રહેવાસી છે. તે અગાઉ દિલ્હી અને કેરળના કાઇટ ફેસ્ટિવલમાં આવી ચૂકી છે પણ તે અમદાવાદ પહેલીવાર આવી છે. તે નાની હતી ત્યારથી જ પતંગ ચગાવતા શીખી ગઇ હતી. ગુજરાત ટુરિઝમે અમેરિકન મહિલાનો સંપર્ક કર્યોતેણે ભારતમાં થતાં તમામ કાઇટ ફેસ્ટિવલ અંગે કોરોનાના સમય પહેલાં જ જાણકારી મેળવી લીધી હતી. એ સમયે તેને અમદાવાદના કાઇટ ફેસ્ટિવલ અંગે પણ જાણવા મળ્યું હતું. ગુજરાત ટુરિઝમે નીકનો સંપર્ક કર્યો હતો અને તેને અહીં પતંગ મહોત્સવમાં ભાગ લેવા માટે બોલાવી હતી. નીકે કહ્યું કે, અમે પતંગબાજો એક બીજાને સારી રીતે ઓળખતા હોઇએ છીએ. તેમના દ્વારા આ બધી તકો સર્જાતી હોય છે. પતંગબાજો એકબીજાને કહેતા હોય છે કે કોઇને પતંગ મહોત્સવમાં આવવું હોય આવી શકે છે. નીકે કહ્યું કે અહીંયા મજા તો આવે છે પરંતુ જો ઇવેન્ટ થોડી વધારે હોત તો સારું રહ્યું હોત. અમે પતંગ તો ચગાવી છે પરંતુ વધારે કંઇ કરી નથી શક્યા. પહેલાં જે પતંગ ચગાવતા હતા અને અત્યારે પતંગ ચગાવીએ છીએ તેમાં મોટો ફેર છે. અત્યારે જે પતંગ ચગાવીએ છીએ તે ખૂબ મોટા છે. હું શીખી ત્યારે માહોલ અલગ હતો. અન્ય રાજ્યના કાઇટ ફેસ્ટિવલમાં જવાની ઇચ્છાનીકને અન્ય રાજ્યમાં થતાં કાઇટ ફેસ્ટિવલમાં પણ ભાગ લેવો છે. તે કહે છે કે મારે ભારતના બીજા વિસ્તારોને પણ જાણવા છે. મારે હૈદરાબાદનો કાઈટ ફેસ્ટિવલ પણ માણવો છે. મને ભારતના લોકો ખૂબ ગમે છે. તે અમને ખૂબ પ્રેમ આપે છે. મને બધા સાથે ફોટો પડાવવામાં પણ મજા પડે છે. ટ્રેવર આયર્લેન્ડથી આવેલો પતંગબાજ છે. તે બીજીવાર અહીં કાઇટ ફેસ્ટિવલમાં આવ્યો છે. તેને ચારેક વર્ષ અગાઉ અમદાવાદના કાઇટ ફેસ્ટિવલ અંગે માહિતી મળી હતી. તેણે કહ્યું કે, અહીં આવવા માટે અમને ગુજરાત ટુરિઝમ એપ્રોચ કરે છે. અમને અહીં આવવાની ફી નથી મળતી પરંતુ ફેસેલિટી મળતી હોવાના કારણે વધુ ખર્ચ પણ નથી થતો. અહીં હું ખરેખર આનંદ કરી રહ્યો છું. કાઇટ ફેસ્ટિવલમાં આવવા મળ્યું તે મારા માટે આનંદની વાત છે. કેવી રીતે સિલેક્શન થાય છે?અહીં આવવાની સિલેક્શન પ્રોસેસ વિશે તેણે કહ્યું કે, મને 100% તો ખબર નથી પરંતુ અમારી ઓનલાઇન પ્રેઝન્સ ખૂબ સારી છે. આયર્લેન્ડમાં ખૂબ સારી હવા હોવાથી અને મોટા પ્રમાણમાં બીચ હોવાથી ત્યા પણ પતંગ ઉડાવવાની મજા પડે છે એટલે અમે શરૂઆતમાં ત્યાં કાઇટિંગ કરતા હતા અને તે પછી દેશ-વિદેશમાં કાઇટિંગ કરીએ છીએ. આયર્લેન્ડમાં ખૂબ ઓછા લોકો પતંગ ચગાવે છે. સામાન્ય લોકો તો નહીં પરંતુ કેટલાક ગ્રુપ કાઇટિંગ કરતા હોય છે. આ રીતે અમે વિવિધ દેશના લોકો સાથે વાતચીત કરી હતી. દરેકને અહીં આનંદ આવતો હતો, દરેકને ભારતની મહેમાનગતિ ખૂબ પસંદ હતી પરંતુ બીજી વાત એ પણ છે કે, આ લોકો પોતાની રીતે નથી આવ્યા પરંતુ ગુજરાત ટૂરિઝમે તેમને આમંત્રણ આપીને બોલાવ્યા છે. ટૂરિઝમ વિભાગ તેમને નિઃશુલ્ક હોટલ, ટ્રાવેલ અને ફૂડ સહિતની સુવિધાઓ પણ આપે છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે 14 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરશે. ગૃહમંત્રી ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવતી નારણપુરા વિધાનસભામાં કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવશે. ગૃહમંત્રી સવારે જગન્નાથ મંદિર ખાતે દર્શન અને આરતી કરશે ત્યાર બાદ નારણપુરા વિધાનસભામાં નવા વાડજ, અખબારનગર અને નારણપુરા એમ ત્રણ જગ્યાએ પતંગ ચગાવશે. જગન્નાથ મંદિરે દર્શન કર્યા બાદ વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરશેકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે 14 જાન્યુઆરીના રોજ સવારે 10:30 આસપાસ જગન્નાથ મંદિર ખાતે દર્શન અને ગૌ પૂજા કરશે. 11:30 વાગ્યે જગન્નાથ મંદિરથી નારણપુરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રિડેવલોપમેન્ટ કરવામાં આવનારા સુર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2નું ખાતમુહૂર્ત કરશે. જે બાદ નારણપુરા વિસ્તારમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ પાસે આવેલા અર્જુન ગ્રીન ફ્લેટ્સમાં કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો સાથે પતંગ ચગાવશે. બપોરે 3:15 અખબારનગર મીર્ચી ગ્રાઉન્ડ ખાતે આવેલા આસ્થા ઓપલ એપાર્ટમેન્ટમાં સાંજે 3:45 વાગ્યે નવા વાડજ અભિષેક એપાર્ટમેન્ટ ખાતે કાર્યકર્તાઓ અને ફ્લેટના રહીશો સાથે પતંગ ચગાવશે.
અમદાવાદમાં એક સમયે બંગલાઓ બનતા અને આજે લક્ઝુરિયસ ને અલ્ટ્રા લક્ઝુરિયસ અપાર્ટમેન્ટ બની રહ્યા છે. અમદાવાદનો ચારેય દિશાએથી વિકાસ થઈ રહ્યો છે. અમદાવાદમાં કોઈએ સપનેય વિચાર્યું નહોતું કે અપાર્ટમેન્ટ 12-20 કરોડના મળશે, પરંતુ આજે આ હકીકત છે. અમદાવાદના ફ્યૂચરથી લઈને અમદાવાદની તેજી-મંદી અંગે આજે આપણે દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ ‘સ્કાયલાઇનર્સ’ના ત્રીજા એપિસોડમાં વાત કરીશું. નાની દુકાનથી શરૂઆત કરનાર ‘બીનોરી ગ્રૂપ’ આજે તો જાણીતું નામ છે. બીનોરી ગ્રૂપની શરૂઆત કેવી રીતે થઈ ને કેમ ‘બીનોરી’ જ નામ આપવામાં આવ્યું તે સહિતની તમામ માહિતી આપશે ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ શર્મા. 'રાજસ્થાનથી અમદાવાદની સફર'વાતની શરૂઆત કરતાં જ રાજેશ શર્મા કહે છે, 'આમ તો અમે મૂળ રાજસ્થાનના જયપુરથી થોડેક દૂર આવેલા ગામ લાલસોટના છીએ. મારા પપ્પા કૈલાશ શર્મા સૌ પહેલાં અમદાવાદ આવ્યા હતા. 1978માં તેમણે અમદાવાદના જોધપુર ચાર રસ્તા પાસે હાર્ડવેર સેનિટરીની દુકાન 'બીનોરી ટ્રેડર્સ'ના નામથી શરૂ કરી હતી. મને આજે પણ યાદ છે કે અમે દુકાનમાં કપચી, ઇંટો, રેતી, ગ્રીડ, ચૂનો, નળ, બેસિન આવું બધું વેચતા હતા. પરિવારમાં હું ને મારો મોટો ભાઈ વિષ્ણુ શર્મા છે. બીનોરીના ફાઉન્ડર મારા પપ્પા જ છે.' 'ભગવાનની શ્રદ્ધાને કારણે નામ રાખ્યું બીનોરી'બીનોરી નામ અંગે રાજેશ શર્માએ જણાવ્યું, 'બીનોરી નામ રાખવા પાછળની સ્ટોરી પણ ભગવાનની આસ્થા સાથે જોડાયેલી છે. અમારા લાલસોટ ગામમાં બીનોરી બાલાજી હનુમાનજીનું મંદિર છે. અમે હનુમાનજીના ભક્ત છીએ અને આ જ કારણે અમે અમારી દુકાનનું ને પછી રિયલ એસ્ટેટમાં બીનોરી નામ રાખ્યું છે. ભગવાન સાથે જોડાયેલી શ્રદ્ધાને કારણે અમારી દરેકે દરેક સ્કીમમાં બીનોરી નામ તો અચૂકથી હોય જ છે. ભગવાનના આશીર્વાદ અમારી પર સદાય રહે તે માટે અમે બીનોરી નામ દરેક સ્કીમમાં પહેલા જ રાખીએ છીએ.' 'પપ્પાએ અલગ-અલગ બિઝનેસ કર્યા'રાજેશ શર્માએ પોતાની રિયલ એસ્ટેટની જર્ની અંગે વાત કરતાં કહ્યું, 'સાચું કહું તો હું રિયલ એસ્ટેટમાં આવીશ તે બિલકુલ નક્કી નહોતું. અમારી હાર્ડવેરની દુકાન હતી. હવે આ દુકાનમાંથી કેવી રીતે કન્સ્ટ્રક્શનની લાઇનમાં આવી ગયા તે જણાવું તો, હાર્ડવેરની દુકાનમાંથી પપ્પાએ કોટા-સ્ટોન-માર્બલનો બિઝનેસ શરૂ કર્યો. થોડા સમય બાદ તેમણે ધાબાં ભરવા માટે જે લોખંડના સળિયા હોય તેનો પણ બિઝનેસ કર્યો. આ જ કારણે હવે અમારી દુકાનમાં બિલ્ડર્સની ખાસ્સી એવી અવર-જવર વધી ગઈ. આ દરમિયાન કેટલાક બિલ્ડર્સ સાથે સારા સંબંધો સ્થપાયા. બિલ્ડર્સ સાથેના સંપર્કો બાદ પપ્પાને પણ થયું કે આપણે પણ રિયલ એસ્ટેટમાં કામ કરીએ. હવે, પપ્પા પાસે પૈસા તો હતા નહીં પણ હિંમત તો હતી તો તેમણે સૌ પહેલી સ્કીમ સેટેલાઇટ વિસ્તારમાં પ્રેમચંદ નગરની સામે બીનોરી અપાર્ટમેન્ટ લૉન્ચ કરી. હવે, પપ્પા ને મોટાભાઈ સ્કીમ સંભાળતા ને હું દુકાન ચલાવતો હતો. ધીમે ધીમે અમે આ બધા અનુભવો લીધા. હું તો એટલું જ કહીશ કે નીતિ સારી હોય તો ભગવાન તમને ચોક્કસથી મદદ કરે છે. હું આજે પણ માનું છું કે બધાં કામ પૈસાથી થાય તેવું જરૂરી નથી. મેં તો અનુભવ્યું છે કે ઘણીવાર પૈસા હોય તો પણ કામ થતું નથી. જીવનમાં એક જ સિદ્ધાંત રાખવો કે નીતિ સારી હોય તો સફળતા મળે છે.' 'બોપલમાં મારો પહેલો પ્રોજેક્ટ' પોતાના પહેલા પ્રોજેક્ટ અંગે રાજેશ શર્મા કહે છે, '2003માં બોપલમાં બીનોરી બંગલો મારો પહેલો પ્રોજેક્ટ હતો. આ પહેલા પ્રોજેક્ટના પ્લાનિંગથી લઈને બધું ઘણું જ સારું રહ્યું. આજની તારીખમાં પણ બીનોરી બંગલો ઘણા લોકોને ગમે છે. હવે વાત કરું તો, અમે બંને ભાઈઓ બીનોરીના નામથી જ અલગ-અલગ સ્કીમ કરીએ છીએ. એક સ્કીમમાં હું ને મોટાભાઈ પાર્ટનર છીએ. બાકી અમારી સેપરેટ સ્કીમ છે. અમારા બંને ભાઈઓએ બીનોરી નામ જ રાખ્યું છે, પરંતુ અમારો લોગો અલગ-અલગ છે. મારા લોગોમાં ભગવાન હનુમાનજીની ગદા છે ને ભાઈના લોગોમાં બિલ્ડિંગ છે. રિયલ એસ્ટેટ ઉપરાંત હું ફોર સ્ટાર હોટેલ બીનોરી પણ ચલાવું છું. લોગોમાં હનુમાનજીની ગદા રાખવાનું કારણ એ જ કે હનુમાનજીની કૃપા અમારી સ્કીમમાં રહેતા લોકો પર સદા વરસતી રહે.' રિયલ એસ્ટેટનું કામ કેવી રીતે શીખ્યા?'રિયલ એસ્ટેટની એબીસીડી કેવી રીતે શીખ્યો તે વાત કરું તો, મારી પાસે શરૂઆતમાં કોઈ પૈસા નહોતા પણ પપ્પાની દુકાને બેસતો થયો. લોકોને કામ કરતા જોયા, બિલ્ડર આવે, તેમની સાથે વાતો કરી...એમ કરીને ધીમે ધીમે નોલેજ આવ્યું. પપ્પાએ સ્કીમ કરી હતી તો તેમાં જતો. ટૂંકમાં કહું તો પ્રેક્ટિકલી મહેનત કરીને શીખીને રિયલ એસ્ટેટમાં કામ કર્યું.' લોકોના મતે, કન્સ્ટ્રક્શનમાં ચિક્કાર પૈસા છેરાજેશ શર્મા કન્સ્ટ્રક્શન ફિલ્ડ અંગે લોકો શું માને છે તે અંગે વાત કરતાં સમજાવે છે, 'અત્યારે ઘણાને વિચાર આવે છે કે કન્સ્ટ્રક્શનમાં તો ચિક્કાર પૈસા છે, પરંતુ આ વાત સાચી નથી. તમને વોલ્યુમ મોટું લાગે છે. જમીનથી લઈ બાંધકામમાં બહુ મોટી રકમની જરૂર પડે અને સામે બુકિંગમાં પણ મોટી અમાઉન્ટ આવતી હોય છે. આ જ કારણે બધાને એવું લાગે, પરંતુ મોટું વોલ્યુમ હોય એટલે તેની સામે ખર્ચ પણ એટલો જ થતો હોય છે.' 'લગન ને મહેનત જરૂરી''અત્યારે રિયલ એસ્ટેટમાં પહેલાં કરતાં આવવું અઘરું છે. પૈસા હોય તો જ આવી શકાય એવું નથી. હું તો માનું છું કે જો આ ફિલ્ડમાં આવવું હોય તો પહેલાં રિયલ એસ્ટેટનું નોલેજ લો. ક્વોલિટી કામ કરતા આવડવું જોઈએ. માર્કેટનો સિનારિયો ખબર હોવી જોઈએ. કન્સ્ટ્રક્શનની એબીસીડી ત્યારે જ આવડે જ્યારે તમે આનું નોલેજ લો ને તેને અમલમા પણ મૂકો. આમ પણ જે-તે ફિલ્ડનું એજ્યુકેશન ને પ્રેક્ટિકલ એમ બંને નોલેજ જરૂરી છે. જો તમારી પાસે એજ્યુકેશન નથી તો તમારે પ્રેક્ટિકલ મહેનત કરવી પડશે અને નસીબનો સાથ હોવો જરૂરી છે. ડેસ્ટિની ક્યારેય સામે ચાલીને આવતી નથી. ડેસ્ટિની બધાએ પોતાની બનાવવાની છે. 5-10 વર્ષ એ લાઇન સાથે કનેક્ટ રહો અને નાના કામથી શરૂઆત કરો. ત્યારબાદ ધીમે ધીમે મોટા કામ કરો. અમેય શરૂઆત નાની-નાની સ્કીમથી કરી હતી. વ્યક્તિએ પહેલું પગથિયું ચઢીને પછી બીજું પગથિયું ચઢવું પડે. પહેલું ને પછી સીધું દસમું પગથિયું ચઢી શકાય નહીં. શરૂઆતમાં મંજિલ દૂર લાગે છે અને લોકો થાકી જાય છે અને અધવચ્ચે છોડી દે છે. આ ફિલ્ડમાં ધીરજ રાખીને મન મજબૂત કરીને મહેનત કરે જવાની છે.' રાજેશ શર્માએ પોતાના લાઇફ મોટો અંગે એમ જણાવ્યું, 'સારાં સારાં ઘર બનાવું ને કસ્ટમર્સ ઘર લીધા બાદ એવું કહે કે મને આ ઘરમાં શાંતિ મળી અને આ બિલ્ડર સાથે મજા આવી. મને જ્યારે લોકોને ઘરમાં શાંતિ મળે તે જોઈને મને સાચે જ સુકૂન ને શાંતિ મળે છે. મને એવું છે કે હું બેસ્ટ ઘર બનાવીને આપું.' 'અમદાવાદનો હોરિઝોન્ટલને બદલે વર્ટિકલ વિકાસ થયો'અમદાવાદના વિકાસની વાત કરતાં રાજેશ શર્માએ સમજાવ્યું, 'પહેલાં અમદાવાદનો હોરિઝોન્ટલ ફેલાવો હતો. પહેલાં એવું નહોતું કે આટલી ઊંચી બિલ્ડિંગ બનશે, તેવો સપનેય કોઈને ખ્યાલ નહોતો. જ્યારથી વિકાસ થયો ત્યારથી અમદાવાદમાં હોરિઝોન્ટલને બદલે વર્ટિકલ ડેવલપમેન્ટ થયું. વર્ટિકલમાં નાની જગ્યામાં ઘણા બધા લોકો રહી શકે. હોરિઝોન્ટલમાં જગ્યાનો વપરાશ વધુ થાય અને લોકો ઓછા રહે. દુનિયાનાં કોઈ પણ ડેવલપ્ડ સિટીની વાત કરું તો, મોટાભાગે ત્યાં ડેવલમેન્ટ વર્ટિકલ જ હોય છે. અમદાવાદમાં આ જ થઈ રહ્યું છે. ઘણા ફેરફાર થઈ રહ્યા છે. અમદાવાદમાં જ્યાં નજર કરો ત્યાં ઠેર ઠેર સ્કીમ થતી જોવા મળે છે અને આ જોઈને દરેકના મનમાં એક જ સવાલ આવે છે કે આટલા બધા ફ્લેટ તો કોઈ ખરીદતું હશે? અમદાવાદમાં માઇગ્રેશન વધ્યું છે. ગુજરાત જ નહીં, પણ બહારનાં રાજ્યોના લોકો પણ અહીંયા આવી રહ્યા છે. માઇગ્રેશનની સામે હજી પણ ઘર ઓછાં બન્યાં હોવાનું લાગે છે.' 'અન્ય રાજ્યોના લોકોને રિટાયર્ડ લાઇફ અમદાવાદમાં પસાર કરવી છે''અમદાવાદનું ભવિષ્ય ઘણું જ બ્રાઇટ છે. અમદાવાદમાં મોટા મોટા પ્રોજેક્ટ્સ આવ્યા છે. ગાંધીનગરમાં ગિફ્ટ સિટી, સાણંદમાં ફેક્ટરી આવી. ફેક્ટરી-જૉબ હોય ત્યાં બાય ડિફોલ્ટ ડેવલમેન્ટ થવાનું જ છે. અમદાવાદમાં કામ જ એટલું બધું છે કે બહારથી લોકો આવે છે. આ લોકોને ગુજરાતની ભૂમિ એટલી બધી ગમી જાય છે કે એ લોકો પછી અમદાવાદમાં જ સેટલ થવાનું વિચારે છે. યુપી, બિહાર, રાજસ્થાન કે પછી સાઉથની વ્યક્તિ પણ એકવાર અમદાવાદ આવી જાય પછી તે અહીંયા જ સેટલ થવાનું વિચારે છે. તે રિટાયર્ડ લાઇફ પોતાના વતન કરતાં અમદાવાદમાં જીવવાનું વધારે પસંદ કરે છે. અમદાવાદમાં શાંતિ છે, અમદાવાદી લોકો સારા છે, ક્રાઇમ રેટ ઘણો ઓછો છે, ઉપરાંત દારૂબંધી હોવાથી મહિલાઓને સુરક્ષા-સલામતીનો અહેસાસ થાય છે. મેં અત્યાર સુધી ઘણા મકાનો વેચ્યાં અને ઘણા લોકોને રોજ મળું છું. હું ઘણાને પૂછું છું કે રિટાયર્ડ લાઇફ તમે કેમ તમારા વતનમાં પસાર કરતા નથી ને હવે અમદાવાદમાં રહેવું છે? સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે અમદાવાદમાં તો સૌરાષ્ટ્ર-મહેસાણા ને ગુજરાતના જ લોકો આવતા હશે, પરંતુ અમારી આંબલી સ્કીમમાં કોલકાતાના ઘણા લોકોએ ઇન્ક્વાયરી કરી. એ લોકો ચોખ્ખું કહે છે કે અમારે કેટલાંક કારણોસર શિફ્ટ થવું પડે એમ છે અને શિફ્ટ તો અમારે ગુજરાતમાં જ થવું છે અને ખાસ તો અમદાવાદમાં આવવું છે. મારી માતૃભૂમિ અમદાવાદ છે. અમદાવાદમાં માઇગ્રેશન દિવસે દિવસે વધ્યું છે. અત્યારે એવું કહેવાય છે કે કોમનવેલ્થને કારણે તેજી આવશે, પણ જો કદાચ કોમનવેલ્થ ના હોત તો પણ તેજી તો આવવાની જ છે. કોમનવેલ્થને કારણે અમદાવાદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધરશે. અલગ-અલગ હોટેલ ને બિલ્ડિંગ્સ ને સ્ટેડિયમ બનશે. આ જ કારણે પૈસા આવશે અને તેનાથી વિકાસ વધશે. શહેરને સારું બનાવવાની જવાબદારી માત્ર સરકારની નહીં, પરંતુ ત્યાં રહેતી પ્રજાની પણ છે.' 'અમદાવાદ અન્ય શહેરોની તુલનામાં સસ્તું'રાજેશ શર્મા માને છે, 'અત્યારે ઘર ખરીદવાનો બેસ્ટ ટાઇમ છે. છેલ્લાં ચારેક વર્ષમાં જમીનના જેટલા ભાવ વધ્યા તેટલા કન્સ્ટ્રક્શનમાં વધ્યા નથી. લોકો મોંઘું વિચારીને લેતા નથી, પણ મારા મતે અત્યારે આ ઘણું જ સસ્તું છે. બીજાં રાજ્યોની તુલનામાં અમદાવાદ સસ્તું છે. અત્યારે સારા લોકેશનમાં ઘર થોડું ઘણું સસ્તું મળી જશે. અમદાવાદ મોઘું થયું જ નથી. રિઝનેબલ રેટમાં સારાં સારાં મકાનો મળી રહે છે. સામાન્ય રીતે જમીન પ્રમાણે ફ્લેટની કિંમત નક્કી થતી હોય છે. હાલમાં સ્ક્વેર ફૂટ ભાવની વાત કરું તો અંદાજે આંબલીમાં 9000 હજાર, સેટેલાઇટમાં 7500-7000 હજાર, વૈષ્ણોદેવી સાઇડ 6500-5000 હજાર, અફોર્ડેબલ સ્કીમમાં સામાન્ય રીતે 3800-4000ની આસપાસ મકાનના ભાવ ચાલે છે. હાલમાં મોટાભાગે અમદાવાદમાંએ રેટ ફિક્સ થઈ ગયો છે પણ જમીનના ભાવ પ્રમાણે થોડું ઘણું વધઘટ થઈ શકે છે. અમદાવાદમાં હાલમાં 12 હજાર રૂપિયા સૌથી હાઇએસ્ટ ભાવ છે, જ્યારે મુંબઈ જેવાં શહેરોમાં સ્ક્વેર ફૂટનો ભાવ 30 હજારથી લઈ 50 હજાર છે. અમદાવાદની બિલિયોનર સ્ટ્રીટમાં હાલમાં સારા સારા ફ્લેટ બની રહ્યા છે. બિઝનેસમેન ને હાઇફાઇ પબ્લિક ત્યાં રહેવા આવે છે અને આ જ કારણે બિલિયોનર સ્ટ્રીટ નામ આપવામાં આવ્યું. 'બંગલાને બદલે પ્રીમિયમ ફ્લેટમાં રહેવાનું પસંદ કરે છે'અમદાવાદમાં દિવસે દિવસે લક્ઝુરિયસ ફ્લેટનું પ્રમાણ વધી રહ્યું છે. રાજેશ શર્મા કહે છે, 'માત્ર લક્ઝુરિયસ નહીં પણ અફોર્ડેબેલ ફ્લેટ પણ વધ્યા જ છે. અમદાવાદમાં ડેવલમેન્ટ થવાને કારણે ચારે બાજુ ફ્લેટ બનતા હોય તેવું દૃશ્ય ઊભું થયું છે. અમદાવાદમાં 15 કરોડ ને 20 કરોડના ફ્લેટ વેચાય તેવું તો કોઈએ ધાર્યું નહોતું. અમદાવાદને મારા મતે તો મેટ્રો જ ગણાય, બસ સરકારે જાહેર નથી કર્યું. લક્ઝરી અપાર્ટમેન્ટમાં બધું જ પ્રીમિયમ ક્વૉલિટીનું હોય છે. કોસ્ટ નક્કી કરતી વખતે જમીનનો ભાવ, બાંધકામનો ભાવ, નફો ઉમેરીને ફ્લેટ વેચાય. લક્ઝરી અપાર્ટમેન્ટમાં લોકો પોતાની રીતે મોંઘી મોંઘી એક્સેસરીઝથી સજાવટ કરતા હોય છે. આ લોકો માટે તો સ્કાય ઇઝ ધ લિમિટ છે. અમદાવાદમાં આજે તો એક કરોડથી લઈને 25 કરોડના ફ્લેટ મળી રહ્યા છે. હા, એ વાત છે કે આજે અમદાવાદમાં બંગલા બનાવવા મુશ્કેલ છે. બંગલો બનાવવું મોઘું થયું છે. ફ્લેટ વધી રહ્યા છે. ફ્લેટમાં સેફ્ટી હોવાથી વાંધો આવતો નથી. બંગલાના ક્રેઝને બદલે અમદાવાદીઓમાં લક્ઝુરિયસ ફ્લેટનો ટ્રેન્ડ વધ્યો છે. સંતાનો વિદેશમાં છે ને મા-બાપ એકલા હોવાથી હવે મોટાભાગના બંગલા વેચી વેચીને ફ્લેટમાં શિફ્ટ થઈ રહ્યા છે. બંગલો જેવી ફીલિંગ આવે તે માટે તેઓ પ્રીમિયમ ફ્લેટમાં રહેવાનું પસંદ કરે છે.' ઘર લેવામાં શું કાળજી રાખવી?'પ્રોપર્ટી લેવામાં બિલ્ડરની છાપ, કેટલા પ્રોજેક્ટ કેવા કર્યા, પઝેશન ક્યારે આપ્યું, બેકગ્રાઉન્ડ ચેક કરવું. તમે જ્યારે કાર લેવા જાવ છો કેટલી તપાસ કરો છો તે જ રીતે ઘર માટે કરો. ટ્રેક રેકોર્ડ તપાસો, પ્લાન જુઓ. આજે ઘણા બિલ્ડર્સ માત્ર ક્વૉલિટી કામ જ કરે છે. હવે રિયલ એસ્ટેટમાં મારે આના કરતાં વધુ સારું કામ કરવાની કોમ્પિટિશન છે. ઘર ખરીદવાનો આ રાઇટ ટાઇમ છે. આમાં તો મોડું કરવું ના જોઈએ. અમદાવાદમાં ઘણી સ્કીમ છે. અમદાવાદમાં મંદી આવશે ને ભાવ ડાઉન થશે તો તે ભૂલ છે. દસ વર્ષ પહેલાં ભાવ ઓછો હતો અને અત્યારે વધારે છે. થોડા સમય પહેલાં સ્નેહાંજલિને કારણે અમનેય આંચકો લાગ્યો. હું તો એટલી જ સલાહ આપીશ કે વકીલને ડોક્યુમેન્ટ બતાવો. રેરા રજિસ્ટ્રેશન બાદ જ ફ્લેટ બુક કરાવો. ટાઇટલ ચેક કરો. હાલ તો નવી જનરેશનને કારણે સારા સારા બિલ્ડર્સ જ કામ કરી રહ્યા છે અને તેઓ આવું કંઈ જ કરતા નથી.' 'ભૂકંપનો મુશ્કેલ સમય પણ કાઢ્યો'રાજેશ શર્મા ભૂકંપના મુશ્કેલ દિવસો યાદ કરીને કહે છે, 'ભૂકંપ આવ્યો ત્યારે અમે ફ્લેટમાં જ રહેતા હતા. પહેલાં તો ખબર જ ના પડી કે આખરે આ શું થઈ રહ્યું છે? આંચકો આવતાં અમે લોકો તરત નીચે ઊતર્યા. પછી ખ્યાલ આવ્યો કે આ તો ભૂકંપ છે. પછી તો અમદાવાદમાં બિલ્ડિંગ્સ પડી ગયાની વાતો સાંભળી. તરત જ મનમાં વિચાર આવ્યો કે અમે પણ બિલ્ડિંગ્સ બનાવી છે. ભગવાનની કૃપાથી અમે નીતિ પ્રમાણે કામ કર્યું હતું એટલે અમારા બિલ્ડિંગ્સને કોઈ નુકસાન થયું નહોતું. અમે અર્થક્વેકનો મુશ્કેલ સમય પણ કાઢી નાખ્યો.' ‘કોરોનામાં ઘરની અંદર જ બેસી રહ્યા. તે સમયે તો કંઈ કામ જ નહોતું કર્યું. ખરાબ પરિસ્થિતિમાંથી આપણે ને દેશ બહાર નીકળ્યા. હું તો માનુ છું કે કંઈક ખરાબ વસ્તુ થાય પછી ભગવાન સારું કરવાની ડબલ તાકાત આપે જ છે. ભગવાન જ્યારે જ્યારે તકલીફ આપે ત્યારે તે ત્યાં ઝડપથી સુખ આપતો હોય છે. કોરોના બાદ લોકોની માનસિકતા, વિચારશક્તિ, લાઇફસ્ટાઇલ ને સ્વભાવ બદલાયો.’ 'તેજી-મંદીનું ગણિત'રિયલ એસ્ટેટના તેજી-મંદીના ગણિત અંગે રાજેશ શર્માએ સમજાવ્યું, 'તેજી-મંદી સિક્કાની બે બાજુ જેવી છે. તમારે તો બસ કામ સારું કરવાનું છે. હું તો માનું છું કે તેજી એટલે કે એક જ દિવસમાં 10 મકાનો વેચાય તેના કરતાં ધીમે ધીમે વેચાય તે વધારે સારું છે. મારું માનવું છે કે બિલ્ડિંગ જેમ જેમ બને ને તેમ તેમ વેચાય તે વધારે સારું. આ જ કારણે વ્યક્તિ ઓવર ટ્રેડિંગ કરશે નહીં. અમદાવાદમાં ક્યારેય મંદી આવી નથી. હું હાલના સમયને જ એક્ચ્યુઅલ માર્કેટ તરીકે જોઉં છું. બિલ્ડરની ઇમેજ, શાખ સારી હોય તો બુકિંગ સ્પીડમાં થાય છે. નવા લોકો હોય તો થોડી વાર લાગતી હોય છે.' 'હતાશા તો આવે ને જાય''હતાશા તો જીવનમાં આવતી-જતી રહે અને તેમાંથી બહાર પણ જાતે જ આવવાનું હોય છે. ભગવાન પર આસ્થા ને શ્રદ્ધા રાખવાની એટલે ક્યારેય વાંધો આવે નહીં. જે પણ થાય નિયત બગાડ્યા વગર કોઈને તકલીફ ના થાય તેમ જીવવાનું છે ને કામ કરવાનું છે,' તેમ રાજેશ શર્મા માને છે. 'સેફ્ટી સાથે મકાનો બની રહ્યાં છે'રાજેશ શર્મા સ્વીકારે છે, ‘હવે આગ ને ભૂકંપને લગતા નિયમો ઘણા જ સ્ટ્રિક્ટ થયા છે, આ જ કારણે લોકોએ ડરવાની બિલકુલ જરૂર જ નથી. જાપાનમાં પણ અવાર-નવાર ભૂકંપ આવે છે અને ત્યાં પણ ઊંચી ઊંચ બિલ્ડિંગ્સ તો છે જ ને. ત્યાં પણ કોઈને ડર નથી જ લાગતો. અમદાવાદમાં પણ બધા ડેવલપર પૂરતા પ્રિકોશન ને સેફ્ટી સાથે ફ્લેટ બનાવી રહ્યા છે. લોકોએ મનમાં રહેલા ડરને દૂર કરવાની જરૂર છે.’ ('સ્કાયલાઇનર્સ'માં આવતીકાલે ચોથા એપિસોડમાં જાણો, યશ બ્રહ્મભટ્ટે કેવી રીતે 'શિલ્પ' એમ્પાયર ઊભું કર્યું…)
ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલાં ભાગમાં ગઈકાલે તમે વાંચ્યું કે જૂનાગઢમાં ગાંધી ચોકમાં બે લોકો અચાનક ઢળી પડ્યા હતા. તેમને હોસ્પિટલમાં સારવાર મળે એ પહેલાં જ જીવ ગુમાવી દીધો. બન્ને શખસોનો એકબીજા સાથે કોઈ લેવાદેવા ન હતા. પણ આ મોત પાછળ લઠ્ઠાકાંડ જવાબદાર હોવાની વાતોએ જોર પકડ્યું. ઘટના નવેમ્બર, 2022માં બની હતી, ત્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી. એટલે લઠ્ઠાકાંડ રાજકીય મુદ્દો ન બને એ માટે સરકારે આ કેસની તપાસ જૂનાગઢ LCB ઉપરાંત એન્ટિટેરસિસ્ટ સ્ક્વોડને સોંપવામાં આવી. આ ઘટનામાં મોતને ભેટનાર રફીક નામના રિક્ષાચાલકની રિક્ષામાંથી સોડાની બોટલ મળી હતી. FLS રિપોર્ટમાં ખુલાસો થયો કે બોટલમાં અંગ્રેજી દારૂની સાથે સાયનાઇડ પણ ભેળવેલું હતું. રફીકની હત્યા કોણ કરી શકે એ દિશામાં તપાસ કરતા રફીકની પત્ની મહેમુદા જ શંકાના ઘેરામાં આવી. LCBએ મહેમુદાની કડકાઈથી પૂછપરછ કરતા આ ષડયંત્રમાં તેના પ્રેમી આસિફ સહિત કુલ 6 લોકોના નામનો ખુલાસો થયો. (ભાગ 1 વાંચવા માટે અહીં ક્લિક કરો.) રફીકને રસ્તામાંથી હટાવવા માટે આટલા બધા લોકો કેમ જોડાયા?સાયનાઇડ જેવું ખતરનાક ઝેર ક્યાંથી આવ્યું?અને સૌથી મોટો સવાલ, રફીકની સાથે મોતને ભેટનારા ભરત ઉર્ફે જોનને આ પ્રકરણ સાથે શું લેવાદેવા હતા? વાંચો, આગળનું ઇન્વેસ્ટિગેશન.જૂનાગઢ LCBએ માત્ર ગણતરીના દિવસોમાં જ આખા કેસની દિશા બદલી નાખી હતી. જે ઘટનાને શરૂઆતના સમયે લઠ્ઠાકાંડ સમજી રહ્યા હતા તે હકીકતમાં એક અત્યંત ઠંડા કલેજે ઘડાયેલું 'વેલ-પ્લાન્ડ મર્ડર' હતું. પોલીસ કસ્ટડીમાં રહેલી મહેમુદા અને આસિફની પૂછપરછમાં જે વિગતો ખુલી તેણે સંબંધોની મર્યાદાઓ પર ગંભીર સવાલો ઉભા કર્યા. આ વાર્તાની શરૂઆત બે વર્ષ પહેલાં થઈ હતી. આસિફની ઉંમર 34 વર્ષ હતી અને હજુ સુધી અપરિણીત હતો. તે અજંતા ટોકીઝ પાસેનું પોતાનું જૂનું ઘર છોડીને ખરાવાડની આ સોસાયટીમાં રહેવા આવ્યો હતો. માર્કેટિંગની નોકરી કરતો આસિફ સ્વભાવે એકદમ સૌમ્ય હતો. તેના ઘરથી થોડે જ દૂર રફીક ઘોઘારીનું મકાન હતું. રફીક પણ લગભગ એ જ સમયે આ સોસાયટીમાં રહેવા આવ્યો હતો. રફીક અને મહેમુદાના લગ્ન 2000ની સાલમાં થયા હતા. બે દીકરા અને એક દીકરી સાથે રફીકનું પરિવાર હતું. પણ ઘરની અંદરની સ્થિતિ કંઈક અલગ જ હતી. રફીકને દારૂની ભયંકર લત હતી. દરરોજ સાંજે તે દારૂ પીને ઘરે આવતો અને મહેમુદા તથા સંતાનો સાથે નાની-નાની વાતોમાં મોટો ઝઘડો કરતો. ક્યારેક તો તે મોડી રાત સુધી ઘરે જ ન આવતો. આવા સમયે અસહાય મહેમુદા કે તેના સંતાનો પડોશમાં રહેતા આસિફને ફોન કરતાં. આસિફ, જરા ઘરે આવ ને... રફીક બહુ હંગામો કરે છે. એ તારું માને છે, પ્લીઝ એને સમજાવ. રફીક ખરેખર આસિફની વાત ટાળતો નહીં. આ સમજાવવાના સિલસિલામાં આસિફ અને મહેમુદા વચ્ચે સંપર્ક વધ્યો. જે સહાનુભૂતિથી શરૂ થયું હતું, તે ધીરે-ધીરે આકર્ષણમાં બદલાયું અને છેલ્લા એક વર્ષથી બંને વચ્ચે ગાઢ પ્રેમસંબંધ બંધાઈ ગયો. આ પ્રેમ પ્રકરણની જાણ સોસાયટીમાં રહેતા આસિફના મિત્ર ઈમરાનને થઈ ગઈ હતી. ઈમરાન અને રફીકના ઘરની દીવાલ એક જ હતી. ઈમરાને આસિફને ટોક્યો પણ હતો કે જોજે આસિફ, કોઈનું હસતું-રમતું ઘર ન ભંગાય એનું ધ્યાન રાખજે. આ રસ્તો ખોટો છે. પરંતુ આસિફ પર પ્રેમના નશાની અસર વધુ હતી. એણે ઈમરાનને આશ્વાસન આપ્યું કે આવું કંઈ નહીં થાય. પણ વાસ્તવિકતામાં આસિફ અંધારું થતાં જ ધાબા કૂદીને મહેમુદાને મળવા જતો. ક્યારેક બંનેની મુલાકાતો આસિફના બીજા એક મિત્ર ઈકબાલના ઘરે ગોઠવાતી. જેમ-જેમ સમય વીત્યો એમ આસિફ મહેમુદા પર દબાણ કરવા લાગ્યો કે આપણે ક્યાંક દૂર ભાગી જઈએ. મારે તારી સાથે રહેવું છે. પણ મહેમુદા મુંઝવણમાં હતી. એને ત્રણ સંતાનો અને ખાસ કરીને દીકરીની ચિંતા હતી. એટલે આસિફને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું… “આસિફ, મારો પતિ જીવે છે ત્યાં સુધી આ શક્ય નથી. હું મારી દીકરી વગર ક્યાંય નહીં આવું અને રફીક એને ક્યારેય મને નહીં લઈ જવા દે.” મહેમુદાના આ એક વાક્યે આસિફના મગજમાં ખતરનાક વિચારનું બીજ રોપ્યું. 'જો રફીક જીવતો હોય ત્યાં સુધી આ શક્ય નથી, તો રફીક જીવવો જ ન જોઈએ.' પ્રેમ હવે પાપની સીમા ઓળંગીને હત્યાના ષડયંત્ર તરફ વળી રહ્યો હતો. હવે સવાલ એ હતો કે આ ષડયંત્રમાં બીજા કયા ચાર લોકો જોડાયા? અને સાયનાઇડ જેવું જીવલેણ ઝેર આ રિક્ષાચાલક સુધી કેવી રીતે પહોંચ્યું? સંબંધો જ્યારે ઝનૂન બની જાય ત્યારે તે રક્તરંજિત સ્થિતિ તરફ દોરી જતાં હોય છે. આસિફ અને મહેમુદાના પ્રેમપ્રકરણમાં પણ કંઈક એવું જ બન્યું. ઘટના રફીકના મૃત્યુના સાતેક મહિના પહેલાંની છે.રાતના અંધારામાં આસિફ અને મહેમુદા ઘરના ધાબા પર ઊભા હતા. બન્ને પ્રેમભરી વાતોમાં મશગૂલ હતા, ત્યાં જ અચાનક રફીક ત્યાં આવી ચડ્યો. આસિફને પોતાની પત્ની સાથે જોઈને રફીકનો પિત્તો છટક્યો. આસિફ તો ત્યાંથી જેમ-તેમ કરીને ભાગી છૂટ્યો પણ પાછળ રહી ગયેલી મહેમુદા પર રફીકનો કહેર તૂટી પડ્યો. રફીકે મહેમુદાને બેરહેમીથી મારી અને સંતાનોની હાજરીમાં જ તેનો મોબાઈલ ફોન આંચકી લીધો. આ ઘટનાનો પડઘો પંદર દિવસ સુધી પડ્યો. બંને પ્રેમીઓ વચ્ચે કોઈ જ વાતચીત ન થઈ. પણ પ્રેમના નામે સંબંધોને નેવે મૂકીને એકમેકમાં આંધળા બનેલ આસિફ અને મહેમુદાએ રસ્તો શોધી જ લીધો. મારપીટની ઘટનાના પખવાડિયા બાદ મહેમુદાએ છૂપી રીતે આસિફને સંદેશો પહોંચાડ્યો કે, રફીકે મારો ફોન લઈ લીધો છે. મને નવો ફોન લઈ આપ, નહીંતર આપણે વાત નહીં કરી શકીએ. આસિફે પોતાના મિત્રના નામે નવો ફોન ખરીદ્યો અને કોઈની ખબર ન પડે એ રીતે મહેમુદાને પહોંચાડી દીધો. ફરીથી વાતોનો દોર શરૂ થયો, પણ રફીકે બન્નેને એકવાર રંગેહાથ પકડી લીધા હતા એટલે તેની શંકા દૂર નહોતી થઈ. થોડા જ દિવસોમાં રફીકને નવા ફોનની જાણ પણ થઈ ગઈ. આ વખતે આસિફ અને રફીક વચ્ચે ભયાનક ઝઘડો થયો. એટલું જ નહીં, રફીકે પોતાની પત્ની સાથે પણ મારપીટ કરી. રોજ-રોજના કકળાટ અને મારઝૂડથી કંટાળેલી મહેમુદા અને આસિફના મનમાં એક જ વાત ઘર કરી ગઈ હતી કે રફીક જીવતો હશે ત્યાં સુધી આપણું એક થવું અશક્ય છે. બંનેએ મળીને રફીક નામનો કાંટો રસ્તામાંથી હટાવવાનુ નક્કી કર્યું. મહેમુદાએ આસિફને સ્પષ્ટ કીધું, “જે કરવું હોય એ કર પણ ધ્યાન રાખજે કે આપણું નામ ન આવે. સમાજમાં મારી ઇજ્જતનો સવાલ છે.” આસિફ મગજનો તેજ હતો. એણે વિચાર્યું કે જો રફીકને હથિયારથી મારશે તો સીધી પોલીસ તપાસ એના પર આવશે. એણે નક્કી કર્યું કે રફીકને કોઈ એવી રીતે મારવો કે દુનિયાને લાગે કે એનું એણે આત્મહત્યા કરી છે અથવા કુદરતી મોત છે. આસિફે આ કામમાં પોતાના મિત્ર ઈમરાન ચૌહાણને વિશ્વાસમાં લીધો. બંને મિત્રો રોજ રાત્રે ભેગા થતા અને ઇન્ટરનેટ પર સર્ચ કરતા. માણસને કેવી રીતે મારી શકાય કે પોલીસ પકડી ન શકે?, સૌથી આકરું ઝેર કયું? ઇન્ટરનેટ પર સર્ચ કરતા પરિણામોએ તેમને એક જ નામ આપ્યું સાયનાઇડ. એક એવું ઝેર જે સેકન્ડોમાં જીવ લઈ લે છે અને સામાન્ય પોસ્ટમોર્ટમમાં કદાચ જ પકડાય. આસિફના આ ષડયંત્રમાં ઇમરાન બાદ ત્રીજા માણસ ઇકબાલની એન્ટ્રી થવાની હતી. તે આસિફનો નાનપણનો મિત્ર હતો. ઈકબાલ આસિફને રોજ અજંતા ટોકીઝ પાસે આવેલા એક પાન પાર્લર પર મળતો. મર્ડરના થોડા મહિના પહેલાં એક સાંજની મુલાકાતમાં આસિફે ઈકબાલ સામે દિલ ખોલીને વાત કરી. ઈકબાલ, જે સ્ત્રીને હું તારા ઘરે લાવું છું એ જ મહેમુદા છે. મારે એની સાથે લગ્ન કરવા છે પણ એનો પતિ રફીક કાંટો બનીને વચ્ચે ઊભો છે. એ મહેમુદાને બહુ મારે છે. મેં નક્કી કર્યું છે કે હું એને ખતમ કરી નાખીશ. મેં તપાસ કરી છે. જો એને સાયનાઇડ આપી દઉં તો કોઈને ખબર પણ નહીં પડે અને એ મરી જશે. તું મને ગમે ત્યાંથી સાયનાઇડ શોધી આપ. મર્ડરની વાત સાંભળીને ઈકબાલ પહેલાં તો અચકાયો પરંતુ દોસ્તી અને કદાચ લાલચમાં આવીને એણે સાયનાઇડ શોધવાની તૈયારી બતાવી. આસિફ અને ઈકબાલની વર્ષો જૂની મિત્રતા હવે એક નિર્દોષના લોહીથી ખરડાવા જઈ રહી હતી. સાયનાઇડ મેળવવો એ રમત વાત નહોતી. પરંતુ ગુનાહિત માનસ ધરાવતા લોકો માટે કોઈ કામ અશક્ય નહોતું. ઈકબાલે પોતાના મિત્ર સરફરાજનો સંપર્ક સાધ્યો. એક મિત્રને ખાસ કામ માટે સાયનાઇડ જોઈએ છે, ક્યાંથી વ્યવસ્થા થશે? સરફરાજે તપાસ કરવાની ખાતરી આપી. થોડા દિવસો બાદ કડી મળી જેતપુરનો યશ પટેલ. સરફરાજે યશનો નંબર આપ્યો અને વાતચીતનો દોર શરૂ થયો. યશ પટેલ આ ઘાતક ઝેરની વ્યવસ્થા કરવા તાયાર થયો અને 5 હજાર રૂપિયામાં ડિલ થઈ. આસિફને એટલી ઉતાવળ હતી કે તેણે જરાય મોડું કર્યા વગર ઓનલાઈન પેમેન્ટ કરી દીધું. મોતની સોદાબાજી હવે ડિજિટલ થઈ ચૂકી હતી. યશે વાયદો કર્યો, ચાર-પાંચ દિવસમાં તમને વસ્તુ મળી જશે. રફીકના મર્ડરના અઢી મહિના પહેલાની એ સાંજ. જૂનાગઢના મજેવડી દરવાજા પાસે આવેલી એક ચાની કિટલી પર ત્રણ શખ્સો ભેગા થયા. આસિફ, ઈકબાલ અને યશ પટેલ. ભીડભાડવાળી જગ્યાએ કોઈને શંકા ન જાય એ રીતે યશે એક બોક્સ આસિફના હાથમાં પકડાવ્યું. તમારી વસ્તુ આમાં છે. સાચવીને રાખજો. યશે ધીમા અવાજે કહ્યું. થોડીવાર ચા-પાણી અને સામાન્ય વાતો કર્યા પછી ત્રણેય છૂટા પડ્યા. આસિફના હાથમાં હવે રફીકના મોતનો સામાન હતો. ઘરે પહોંચીને આસિફે ધડકતા હૈયે બોક્સ ખોલ્યું. અંદર પ્લાસ્ટિકની એક બરણી હતી, જેમાં સફેદ રંગના પથ્થર જેવા ટુકડા હતા. આસિફ મુંઝવણમાં હતો કે આનો ઉપયોગ કેવી રીતે કરવો? એણે તરત જ યશને ફોન લગાવ્યો. આનો ઉપયોગ કેવી રીતે કરવાનો? આ તો પથ્થર જેવું છે. યશે સલાહ આપી, હું જૂનાગઢ આવીશ અથવા તું એક ટુકડો લઈને જેતપુર આવી જા. હું તને બધું સમજાવી દઈશ. આસિફે આ વાત તરત જ પોતાના સાથીદાર ઈમરાનને કરી, સામાન આવી ગયું છે. હવે બસ મોકો શોધવાનો છે. જેવો મેળ પડે એટલે રફીકને આ પીવડાવી દેવાનું છે. થોડા દિવસો પછી આસિફ પોતાની બાઇક લઈને જેતપુર પહોંચ્યો. ત્યાં યશ પટેલે તેને સાયનાઇડના ટુકડાને કેવી રીતે ઓગાળવો, કઈ વસ્તુમાં ભેળવવો અને કેટલી માત્રામાં આપવો જેથી મોત નિશ્ચિત થાય, તેની આખી 'ટ્રેનિંગ' આપી. જૂનાગઢ પરત ફરીને આસિફે સાયનાઇડના થોડા જરૂરી ટુકડા અલગ કાઢ્યા અને બાકીની બરણી સાવચેતીના ભાગરૂપે ઘરની નજીક એક અવાવરું જગ્યાએ ખાડો ખોદીને દાટી દીધી. હવે માત્ર એક જ વાતની રાહ હતી કે કોઈક રીતે રફીક સુધી આ વસ્તુ પહોંચાડી દેવી. આસિફ અને ઈમરાન હવે કોઈ પણ ભોગે રફીકનો જીવ લેવા આતુર હતા પણ નસીબ જાણે રફીકને વારંવાર બચાવી રહ્યું હતું. ઘટના રફીકની હત્યાના લગભગ બે મહિના પહેલાની છે. એક મોડી રાત્રે આસિફ ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે એની નજર રફીકની રિક્ષામાં પડેલી પાણીની અધૂરી બોટલ પર પડી. આસિફે મોકો જોઈને પોતાની પાસે રહેલું સાયનાઇડ તેમાં ભેળવી દીધું. પણ રફીકે કોઈ કારણસર એ પાણી પીધું જ નહીં અને મોત દરવાજે આવીને પાછું ગયું. ત્યારબાદ, રફીકના મર્ડરના 20 દિવસ પહેલાં મહેમુદા બજારમાં શાકભાજી લેવા નીકળેલી હતી, ત્યારે તેને આસિફ મળ્યો. એણે છૂપી રીતે મહેમુદાના હાથમાં એક પડીકી પકડાવી. આ લે, આમાં એ જ કેમિકલ છે. આજે રાત્રે રફીકના પાણીમાં ભેળવી દેજે. મહેમુદાએ પડીકી તો લીધી, પણ ઘરે જઈને એની હિંમત ન ચાલી. એણે એ પડીકી રફીકને આપવાને બદલે ક્યાંક ફેંકી દીધી. આસિફ હવે અકળાઈ રહ્યો હતો. તેના અલગ-અલગ પ્રયાસો નિષ્ફળ જઈ રહ્યા હતા. હવે તેણે એક નવો પ્લાન બનાવ્યો. સાયનાઇડ ભેળવેલી પાણીની એક આખી બોટલ ઈમરાનને આપી. ઇમરાન અને મહેમુદાના ઘરની દીવાલ એક જ હતી. આસિફે કહ્યું, આ બોટલ દીવાલ પર મૂકી દેજે, મહેમુદા ત્યાંથી લઈ લેશે. પ્લાન મુજબ મહેમુદાએ બોટલ ઉઠાવી પણ લીધી. બીજા દિવસે સવારે મહેમુદાએ આસિફને ફોન કર્યો, કાલે રાત્રે રફીક જમવા બેઠો ત્યારે મેં ગ્લાસમાં એ જ પાણી ભરીને આપ્યું હતું. પરંતુ એણે પાણી પીવાને બદલે એનાથી હાથ ધોઈ નાખ્યા. આસિફને વિશ્વાસ ન આવ્યો. એણે શંકાથી પૂછ્યું, તે ખરેખર રફીકને પાણી આપ્યું હતું કે જૂઠું બોલે છે? મહેમુદાએ સોગંદ ખાધા પણ આસિફનો પારો હવે સાતમા આસમાને હતો. એને લાગ્યું કે રફીકનું નસીબ બહુ બળવાન છે. 27-28 નવેમ્બર, 2022ની એ રાત આવી જ્યારે આસિફને ફરીથી એક મોકો મળ્યો. રાત્રિના લગભગ એક વાગ્યાનો સમય હતો. આસિફ અને ઈમરાન રખડીને પરત ફરી રહ્યા હતા. અંધારામાં એમણે રફીકની રિક્ષા પાર્ક થયેલી જોઈ. આસિફ રિક્ષાની નજીક ગયો તો જોયું, ડ્રાયવિંગ સીટની સામે એક કપડું વીંટાળેલું હતું, જેની અંદર 10 રૂપિયાવાળી સોડાની બોટલ હતી. આસિફે બોટલ ખોલીને સુંઘી તો ઇંગ્લિશ દારૂ હતો. આસિફને આ સ્થિતિમાં મોટી તક દેખાઈ. એણે ઈમરાન સામે જોઈને કહ્યું, જો, આ જ મસ્ત મોકો છે. પાણીમાં એને સ્વાદ ખબર પડી જાય છે પણ આ દારૂમાં તો એને કઈ ખબર જ નહીં પડે. દારૂમાં જ સાયનાઇડ નાખી દઈએ. કાલે જેવો એ દારૂ પીશે એવો જ વચ્ચેથી આપણો કાંટો નીકળી જશે. ઇમરાન કાંઈ બોલ્યો નહીં પણ મૌન સંમતિ આપી. બંને એ બોટલ લઈને એ અવાવરું જગ્યાએ ગયા જ્યાં સાયનાઇડની બરણી દાટી હતી. બરણી બહાર કાઢી અને દારૂની બોટલમાં સાયનાઇડના ટુકડા ભેળવ્યા. થોડીવાર સુધી બરાબર હલાવી નાખી. ચૂપચાપ રિક્ષા પાસે જઈને એ બોટલને કપડામાં વીંટાળીને જેવી હતી તેવી જ રીતે મૂકી દીધી. જાણે કઈ બન્યું જ નથી તેમ બંને પોતપોતાના ઘરે જઈને સૂઈ ગયા. 28 નવેમ્બર, 2022ની એ સવાર આસિફ અને મહેમુદા માટે એકદમ અસામાન્ય હતી. સાત મહિનાથી જે રાહ જોઈ રહ્યા હતા એ ષડયંત્ર પાર પડવા જઈ રહ્યું હતું. આસિફ દરરોજની જેમ તૈયાર થઈને નોકરી પર ગયો. સવારે સાડા અગિયાર વાગ્યે એણે મહેમુદાને ફોન કર્યો, કામ થઈ ગયું છે. રાત્રે મેં બોટલમાં ભેળવી દીધું હતું. હવે બસ જોવાનું છે કે શું થાય છે. એ દિવસે બંને વચ્ચે પાંચેક વાર વાત થઈ. આસિફના મનમાં ફાળ પણ હતી અને એક પ્રકારનો છુપો આનંદ પણ. એને લાગતું હતું કે ક્યાંક એવું પણ ન થાય કે આ મોકો પણ છૂટી જાય. સોમવારની એ સાંજે આસિફ અને ઇકબાલ રોજની જેમ પાન પાર્લર પાસે ઉભા હતા. વાતોના ગપાટા ચાલતા હતા ત્યાં જ આસિફના મોબાઈલની રિંગ વાગી. સોસાયટીમાંથી એક પડોશીનો ફોન હતો. આસિફ, તને કઈ ખબર પડી? સામેથી ગભરાયેલો અવાજ આવ્યો. ના, શું થયું? આસિફે સાવ અજાણ્યા બનીને પૂછ્યું. રફીકનું મોત થઈ ગયું છે. એ ગાંધી ચોકમાં અચાનક ઢળી પડ્યો હતો. તું જલ્દી સોસાયટીમાં આવ. આસિફે ફોન મૂક્યો અને ઇકબાલ સામે જોઈ એક ક્રૂર સ્મિત આપ્યું. કામ થઈ ગયું ઇકબાલ. હવે સોસાયટીએ પહોંચવું પડશે. આસિફ તુરંત સોસાયટી પહોંચ્યો. ત્યાં રફીકના ઘર પાસે લોકોની ભીડ હતી. રોકકળ વચ્ચે આસિફ અને ઇમરાન પણ ત્યાં હાજર રહ્યા. બંને એકબીજાની સામે જોતા હતા પણ કોઈ વાત નહોતા કરતા. જાણે બે અજાણ્યા લોકો શોકમાં સહભાગી થયા હોય એ રીતે ઢોંગ કર્યો. રફીકની લાશ ઘરે લાવવામાં આવી અને અંતિમવિધિ થઈ, પણ આ ખૂનીઓના ચહેરા પર પસ્તાવાનો એક અંશ પણ નહોતો. ચાર દિવસ પછી રફીકની ઝીયારત (મૃત્યુ પછીની એક વિધિ) પતાવીને આસિફ પરત ફર્યો. રફીકની હત્યા તો થઈ ગઈ હતી પણ હજુય તેની પાસે બરણીમાં સાઇનાઇડ હતું, હવે પુરાવા નાબૂદ કરવાનો સમય હતો. આસિફ અને ઇમરાને અવાવરું જગ્યાએ દાટેલી સાયનાઇડની બરણી બહાર કાઢી. પ્લાસ્ટિકની એક થેલીમાં સાયનાઇડ ભર્યું અને ઝાંઝરડા ચોકડીથી મધુરમ તરફ જતા રસ્તે આવતા વોંકળામાં ફેંકી દીધું. પ્લાસ્ટિકની ખાલી બરણી પણ બાયપાસ રોડ પર ફેંકી દીધી. તેમને લાગ્યું કે પાણીમાં સાઇનાઈડ વહી જશે અને કોઈને ખબર પણ નહીં પડે. પરંતુ, કુદરતનો ન્યાય અલગ હતો. આસિફના આ ઝેરીલા પ્લાનમાં ભરત ઉર્ફે જોન નામનો એક માણસ ભોગ બની ગયો જેને આ પ્રેમપ્રકરણ કે દુશ્મની સાથે કોઈ લેવાદેવા નહોતા. રફીકના મોત પછી ભરતે પીધેલા એ બે ઘૂંટડાને કારણે પોલીસ સતર્ક થઈ અને મામલો લઠ્ઠાકાંડનો હોય એમ લાગ્યું પણ તપાસને અંતે કંઈક અલગ જ ષડયંત્ર ખુલ્લુ પડ્યું. જૂનાગઢ LCBની કડક પૂછપરછમાં મહેમુદા ભાંગી પડી અને આખા ષડયંત્રનો પર્દાફાશ થયો. પોલીસે કાળવાના વોકળામાંથી ફેંકી દેવાયેલું સાયનાઇડ પણ શોધી કાઢ્યું, જે આ કેસનો સૌથી મોટો પુરાવો બન્યો. આ કેસમાં પોલીસે કુલ 6 આરોપીઓની ધરપકડ કરી હતી1. આસિફ (મુખ્ય સૂત્રધાર)2. મહેમુદા (પત્ની અને પ્રેમીકા)3. ઇમરાન ચૌહાણ (મદદગાર મિત્ર)4. ઇકબાલ આઝાદ (ઝેરની વ્યવસ્થા કરનાર)5. સરફરાજ (મધ્યસ્થી)6. યશ પટેલ (ઝેર વેચનાર) સૂત્રો તરફથી મળેલી માહિતી પ્રમાણે હાલમાં આ તમામ આરોપીઓ જામીન પર બહાર છે. પણ એક અનૈતિક સંબંધે બે જિંદગીઓ છીનવી લીધી. 6 લોકોનું નામ મર્ડર કેસમાં આવ્યુે અને તેમના પરિવારોને આ કૃત્યએ કાયમી કલંક આપી દીધો.
અબુ સાલેમ આંતરરાષ્ટ્રીય ગુનેગાર, 2 જ દિવસના પેરોલ મળે-સરકાર
ભાઈનાં મૃત્યુ બાદ ૧૪ દિવસના પેરોલ માગ્યા હતા સાલેમને પોલીસ પહેરા હેઠળ જ પેરોલ મળશે અને પોલીસ બંદોબસ્તનો ખર્ચો પણ તેણે ઉપાડવો પડશે મુંબઈ - ૧૯૯૩ના બોમ્બ ધડાકાના કેસમાં કસૂરવાર ઠરેલો ગેન્ગસ્ટર અબુ સાલેમ આંતરરાષ્ટ્રીય ગુનેગાર છે અને આથી તેને બે જ દિવસના તાકીદના પેરોલ એ પણ પોલીસ રક્ષણ સાથે આપી શકાય છે એમ મહારાષ્ટ્ર સરકારે બોમ્બે હાઈ કોર્ટને જણાવ્યું હતું. સાલેમે મોટા ભાઈના અવસાન થવા પર ૧૪ દિવસના પેરોલની માગણી કરી હતી. સરકારી વકીલે ઉક્ત બાબત કોર્ટના ધ્યાનમાં લાવી હતી.
દિશા પટાણી અને પંજાબી સિંગર તલવિન્દર ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા
નુપૂર સેનનના લગ્નમાં બંને વચ્ચે નિકટતા દેખાઈ પંજાબી સિંગર તલવિંદર મોટાભાગે ફેસ પર પેઈન્ટ સાથે જ દેખાય છે મુંબઈ - દિશા પટાણી હવે પંજાબી સિંગર તલવિંદર સાથે ડેટિંગ કરી રહી હોવાની ચર્ચા છે. તાજેતરમાં ક્રિતી સેનનની બહેન નુપૂરનાં લગ્ન ઉદયપુરમાં યોજાયાં હતાં. તે દરમિયાન દિશા અને તલવિંદર હાથમાં હાથ પરોવીને સાથે ફરતાં દેખાયાં હતાં. બંને વચ્ચેની નિકટતા જોતાં તેઓ ડેટિંગ કરી રહ્યાં હોવાનું અનુમાન ચાહકો વ્યક્ત કરી રહ્યા છે.
નમસ્કાર, ગઈકાલના મોટા સમાચાર પાકિસ્તાન બોર્ડર પર 8 આતંકી કેમ્પ એક્ટિવ હોવાની જાણકારી સાથે જોડાયેલા રહ્યા. બીજા મોટા સમાચાર ઈરાનના હિંસક પ્રદર્શનમાં 12 હજાર મોતના દાવાને લઈને રહ્યા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર નજર રહેશે... 1. PM મોદીનું કાર્યાલય (PMO) નવી બિલ્ડિંગ ‘સેવા તીર્થ’ પરિસરમાં શિફ્ટ થઈ શકે છે. 2. કલકત્તા હાઈકોર્ટ ED વિરુદ્ધ TMC કેસની સુનાવણી કરશે. EDનો આરોપ છે કે I-PAC ડાયરેક્ટર પ્રતીક જૈનના ઠેકાણાઓ પર દરોડા દરમિયાન મમતા બેનર્જીએ અડચણ ઊભી કરી હતી. કાલના મોટા સમાચારો 1. PAKના આઠ કેમ્પ પર ભારતીય સેનાની નજર:આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું- ઓપરેશન સિંદૂર ચાલુ, કોઈપણ કૃત્યનો જવાબ આપવામાં આવશે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ મંગળવારે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. ભવિષ્યમાં કોઈપણ પ્રકારના આતંકવાદી કે સૈન્ય દુસ્સાહસ માટે અમે સંપૂર્ણપણે તૈયાર છીએ. ભારત પૂરી તાકાતથી જવાબ આપશે. જનરલ દ્વિવેદીએ જણાવ્યું કે સરહદ પાસે 8 આતંકવાદી કેમ્પ હજુ પણ એક્ટિવ છે. જો કોઈ હરકત થશે તો કાર્યવાહી કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર, થલસેના, વાયુસેના અને નૌસેનાના તાલમેલનું ઉત્તમ ઉદાહરણ છે. ઓપરેશન સિંદૂરમાં 100 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા. રવિવારે સરહદ પાસે ડ્રોન જોવા મળ્યા હોવાના સવાલ પર આર્મી ચીફે કહ્યું- તે ખૂબ નાના ડ્રોન છે. આ લાઇટ ચાલુ કરીને ઉડે છે. તે વધુ ઊંચાઈ પર ઉડતા નથી અને બહુ ઓછા જોવા મળ્યા છે. 10 જાન્યુઆરીએ લગભગ 6 ડ્રોન જોવા મળ્યા હતા, જ્યારે 11 અને 12 જાન્યુઆરીએ 2 થી 3 ડ્રોન દેખાયા હતા. આર્મી ચીફ બોલ્યા- 1963નો પાક-ચીન કરાર ગેરકાયદેસર આર્મી ચીફે કહ્યું કે ભારત, પાકિસ્તાન અને ચીન વચ્ચે 1963ના કરારને ગેરકાયદેસર માને છે. જે અંતર્ગત પાકિસ્તાને શક્સગામ ઘાટીમાં પોતાનો વિસ્તાર ચીનને સોંપી દીધો હતો. તેમણે કહ્યું કે અમે ત્યાં કોઈપણ હલચલ સ્વીકારતા નથી. જ્યાં સુધી ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોરનો સવાલ છે. અમે તેને સ્વીકારતા નથી. અમે તેને બંને દેશોની ગેરકાયદેસર કાર્યવાહી માનીએ છીએ. વાંચો સંપૂર્ણ સમાચાર 2. હવે 10 મિનિટમાં ડિલિવરી નહીં મળે:બ્લિન્કિટે '10 મિનિટ ડિલિવરી'નો દાવો હટાવ્યો; સરકારે ઝેપ્ટો, સ્વિગી અને ઝોમેટો સાથે પણ વાત કરી ક્વિક કોમર્સ પ્લેટફોર્મ બ્લિન્કિટે તેનાં તમામ બ્રાન્ડ પ્લેટફોર્મ્સ અને જાહેરાતોમાંથી '10 મિનિટમાં ડિલિવરી'નો દાવો હટાવી લીધો છે. કેન્દ્રીય શ્રમમંત્રી મનસુખ માંડવિયાના હસ્તક્ષેપ અને ડિલિવરી પાર્ટનર્સની સુરક્ષાને લઈને વ્યક્ત કરાયેલી ચિંતા બાદ કંપનીએ આ પગલું ભર્યું છે. સરકાર સાથેની બેઠકમાં સ્વિગી, ઝોમેટો અને ઝેપ્ટોએ પણ ખાતરી આપી છે કે તેઓ હવે ગ્રાહકોને સમય મર્યાદાનું વચન આપતી જાહેરાતો કરશે નહીં. લેબર મિનિસ્ટરે કંપનીઓ સાથે બેઠક કરી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં બ્લિન્કિટ, ઝેપ્ટો, સ્વિગી અને ઝોમેટોના ટોચના અધિકારીઓ સાથે એક મહત્ત્વપૂર્ણ બેઠક કરી હતી. આ બેઠકમાં ડિલિવરી પાર્ટનર્સની સલામતી અને તેમના પર પડતા માનસિક દબાણ પર ચર્ચા થઈ. વાંચો સંપૂર્ણ સમાચાર 3. બાંગ્લાદેશે હઠ પકડી, T20 WCમાં સ્થળ બદલવાની ફરી માગ કરી:કહ્યું- ખેલાડીઓની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા; ICCનો હુકમ- ભારતમાં જ રમવું પડશે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) T20 વર્લ્ડ કપમાં પોતાની મેચના સ્થળ ભારતની બદલે શ્રીલંકા કરવાની માગ પર અડગ છે. BCBએ પ્રેસ રિલીઝ જાહેર કરીને જણાવ્યું છે કે- તેણે મંગળવારે ICC સાથે વીડિયો કોન્ફરન્સથી ફરી એકવાર પોતાની માગણી કરી છે. ICCએ બાંગ્લાદેશી બોર્ડને આ માગ પર ફરીથી વિચાર કરવા માટે જણાવ્યું છે. ANIના રિપોર્ટ મુજબ, સોમવારે ICCએ BCBની વેન્યુ બદલવાની માગને ફગાવી દીધી હતી. બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યાને કારણે BCCIએ મુસ્તફિઝુરને IPL રમવાની પરવાનગી આપી નહોતી અને 3 જાન્યુઆરીએ KKRએ તેને ટીમમાંથી બહાર કરી દીધો હતો. આનાથી ઉશ્કેરાયેલા બાંગ્લાદેશે પોતાના દેશમાં IPL મેચના પ્રસારણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. એટલું જ નહીં, જોખમનો હવાલો આપીને 7 ફેબ્રુઆરીથી શરૂ થનારા T20 વર્લ્ડ કપમાં વેન્યુ બદલવાની માગ કરવા લાગ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ઈરાનમાં અત્યાર સુધી 12 હજાર લોકોની હત્યાઃ ટ્રમ્પે કહ્યું- ઈરાની પ્રદર્શનકારીઓ સરકારી ઈમારતો પર કબજો કરી લે; હુમલો કરનારાઓના નામ નોંધાઈ રહ્યા છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનમાં પ્રદર્શન કરી રહેલા લોકોને સરકારી ઈમારતો પર કબજો કરવાની સલાહ આપી છે. તેમણે મંગળવારે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર લખ્યું કે ઈરાનના દેશભક્તો પ્રદર્શન ચાલુ રાખે અને પોતાની સંસ્થાઓને પોતાના કબજામાં લે. ટ્રમ્પે લોકોને પ્રદર્શન ચાલુ રાખવાની અપીલ કરી અને કહ્યું કે મદદ રસ્તામાં છે. જે લોકો પ્રદર્શનકારીઓની હત્યા અને તેમના પર અત્યાચાર કરી રહ્યા છે, તેમના નામ નોંધવામાં આવી રહ્યા છે. તેમને આની ભારે કિંમત ચૂકવવી પડશે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેમણે ઈરાનના અધિકારીઓ સાથે થનારી તમામ બેઠકો રદ કરી દીધી છે. જ્યાં સુધી પ્રદર્શનકારીઓની હત્યાઓ બંધ નહીં થાય, ત્યાં સુધી કોઈ વાતચીત થશે નહીં. દાવો- ઈરાનમાં અત્યાર સુધી 12 હજાર લોકોની હત્યા ઈરાનમાં 12 હજાર પ્રદર્શનકારીઓની હત્યા કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઈરાન સાથે જોડાયેલા મુદ્દાઓને કવર કરતી બ્રિટિશ વેબસાઈટ ‘ઈરાન ઈન્ટરનેશનલ’એ દાવો કર્યો છે કે આ હત્યાઓ છેલ્લા 17 દિવસમાં થઈ છે. વેબસાઈટે તેને ઈરાનના આધુનિક ઈતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો નરસંહાર ગણાવ્યો છે. અત્યાર સુધીના મોટાભાગના અહેવાલોમાં મૃત્યુઆંક 600ની આસપાસ જણાવવામાં આવતો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ચાંદી બે જ દિવસમાં રૂ. 20,000 મોંઘી થઈ:આજે સોનાના ભાવમાં પણ ભડકો, આવનારા દિવસોમાં હજુ ભાવ વધશે; ખરીદીમાં આટલું ધ્યાન રાખો આજે (13 જાન્યુઆરી) સોના-ચાંદીના ભાવ સતત બીજા દિવસે ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયા છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, એક કિલો ચાંદીની કિંમત 6,566 રૂપિયા વધીને 2,62,742 રૂપિયા પર પહોંચી ગઈ છે. ગઈકાલે એણે 2,57,283 રૂપિયાનો સર્વકાલીન ઉચ્ચતમ સ્તર બનાવ્યો હતો. બે દિવસમાં ચાંદી લગભગ 20 હજાર રૂપિયા મોંઘી થઈ ગઈ છે, જ્યારે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 33 રૂપિયા વધીને 1,40,482 રૂપિયાના ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. ગઈકાલે એ 1,40,449 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. આવનારા દિવસોમાં ભાવ વધુ વધી શકે છે કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય કેડિયાએ જણાવ્યું હતું કે ચાંદીની માગમાં હાલ તેજી છે, જે આગળ પણ જળવાઈ રહેવાનો અંદાજ છે. આવી સ્થિતિમાં ચાંદી આગામી 1 વર્ષમાં 2.75 લાખ સુધી પહોંચી શકે છે. સોનાની વાત કરીએ તો એની માગમાં પણ તેજી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં આવતા વર્ષ સુધીમાં એ 10 ગ્રામદીઠ 1.50 લાખ રૂપિયાને પાર કરી શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. છેલ્લી ઘડીએ બજારોમાં ઉત્તરાયણની ધૂમ ખરીદી, ભારે ભીડનો ડ્રોન નજારો:અમદાવાદ-સુરતની માર્કેટમાં પગ મૂકવાની જગ્યા નહીં, વડોદરાના ચાર દરવાજા પાસે પોલીસની વાહનો પર પ્રવેશબંધી ગુજરાતમાં ઉત્તરાયણ પર્વને લઈને પતંગ બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો હતો. ત્યારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના મહાનગરોના બજારોમાં પતંગો અને દોરી તેમજ અન્ય ચીજવસ્તુઓ ખરીદવા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. જેના કારણે પતંગ બજારોમાં લોકોને પગ મૂકવાની જગ્યા ન હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. મોડી રાત સુધી પતંગ બજારોમાં લોકો દ્વારા ખરીદી કરવામાં આવી હતી. ઓપરેશન સિંદૂર, નરેન્દ્ર મોદીની ફોટાવાળી, લાલો, ધુરંધર, પુષ્પા ફિલ્મ, બરેલીની ટુર્નામેન્ટ સહિતની ડિઝાઈન સાથેની પતંગો બજારમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. તો બીજી તરફ શાંતિ અને સુરક્ષા જાળવવા માટે પોલીસ વિભાગ દ્વારા ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી હતી. સાથે જ ખિસ્સાકાતરૂઓથી બચવા માટે લાઉડસ્પીકર દ્વારા સતત સૂચનાઓ આપવામાં આવી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 7. 'બિગ બી' સામે ક્રિકેટના ભગવાન એક રન ન કરી શક્યા!:સચિન અને અમિતાભ વચ્ચે ફિંગર ક્રિકેટની જંગ; મેચ, મજા અને મસ્તીનો વાઈરલ VIDEO બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન માત્ર ફિલ્મી પડદા પર જ નહીં, પણ રમતગમતના મેદાનમાં પણ તેટલા જ ઉત્સાહી જોવા મળે છે. ક્રિકેટ પ્રત્યેનો તેમનો પ્રેમ જગજાહેર છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ધૂમ મચાવી રહ્યો છે, જેમાં બિગ બી ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર સાથે 'ફિંગર ક્રિકેટ' રમતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો જોઈને ફેન્સ મંત્રમુગ્ધ થઈ ગયા છે. ક્રિકેટના ભગવાન સાથે 'બિગ બી'ની મસ્તી ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL) ની ત્રીજી સીઝન દરમિયાન આ બંને દિગ્ગજો એકસાથે જોવા મળ્યા હતા. અમિતાભ બચ્ચને પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વીડિયો શેર કરતા લખ્યું- ક્રિકેટના ભગવાન સાથે ફિંગર ક્રિકેટની રમત. વીડિયોમાં જોઈ શકાય છે કે સચિન સાથે રમતી વખતે અમિતાભ બચ્ચનનું બાળપણ જાગી ઉઠ્યું હતું. જ્યારે તેઓ આઉટ થયા ત્યારે થોડીવાર માટે ઉદાસ થઈ ગયા હતા, પરંતુ તરત જ ફરી રમતમાં પરત ફર્યા હતા. બંને વચ્ચેની કેમેસ્ટ્રી અને હસતાં ચહેરા નેટિઝન્સ માટે કોઈ ભેટથી ઓછું નથી. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : જમ્મુ-કાશ્મીરમાં LoC નજીક શંકાસ્પદ ડ્રોન દેખાયું:સેનાએ ફાયરિંગ કર્યું તો પાકિસ્તાન તરફ ભાગ્યો, 3 દિવસમાં બીજો કિસ્સો (વાંચો સંપૂર્ણ સમાચાર) 2.ઈન્ટરનેશનલ : ISROનું રોકેટ નિષ્ફળ, છતાં સ્પેનિશ સેટેલાઇટ એક્ટિવ:સ્પેસમાંથી સિગ્નલ મોકલ્યો; કંપની બોલી- કયા રસ્તેથી પહોંચ્યો, તે શોધી રહ્યા છીએ (વાંચો સંપૂર્ણ સમાચાર) 3.નેશનલ : SCએ કહ્યું, કૂતરાંમાં વાઇરસ, એનાથી થતી બીમારીની સારવાર નથી:જો કોઈનું મોત થશે તો સરકારે વળતર ચૂકવવું પડશે; જેમને રખડતા કૂતરાઓની ચિંતા છે, તેઓ તેને ઘરે લઈ જાય (વાંચો સંપૂર્ણ સમાચાર) 4.ઈન્ટરનેશનલ : બાંગ્લાદેશમાં વધુ એક હિંદુની હત્યા:28 વર્ષના ઓટો-ડ્રાઇવરને ઘરે પરત ફરતી વખતે ચાકુ માર્યું; 23 દિવસમાં 7 હિંદુની હત્યા (વાંચો સંપૂર્ણ સમાચાર) 5.બિઝનેસ : એપલે AI માટે ગૂગલ જેમિની સાથે ભાગીદારી કરી:આઇફોનમાં સિરીને સુધારશે, મસ્કે ડીલને ખોટી ગણાવી (વાંચો સંપૂર્ણ સમાચાર) 6.સ્પોર્ટ્સ : રોહિત-કોહલી રાજકોટમાં છેલ્લી મેચ રમશે!:મેચ પહેલાં પ્લેયર્સે નેટ્સમાં પરસેવો પાડ્યો; બુધવારે બીજી વન-ડેમાં રનનો વરસાદ જોવા મળી શકે (વાંચો સંપૂર્ણ સમાચાર) 7.ધર્મ તહેવાર જ્યોતિષ : મકરસંક્રાંતિની તારીખને લઈને પંચાંગ ભેદ!:14 જાન્યુઆરીએ સૂર્ય અને ભગવાન વિષ્ણુની પૂજાનો શુભ યોગ; તલ સંબંધિત 6 કાર્યો કરવા ફળદાયી (વાંચો સંપૂર્ણ સમાચાર) ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ ખિસ્સામાં કોબ્રા લઈને ડોક્ટર પાસે પહોંચ્યો શખ્સ મથુરામાં એક શખ્સને કોબ્રા સાપ કરડ્યો. તે સાપને ખિસ્સામાં રાખીને જિલ્લા હોસ્પિટલ પહોંચી ગયો. ડોક્ટરને કહ્યું કે સાહેબ ઈલાજ કરી દો, આ જ સાપ કરડ્યો છે. ત્યારબાદ તેનો ઈલાજ કરવામાં આવ્યો. હાલમાં તેની હાલત સ્થિર છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor’s View: 20 મિનિટમાં મહાવિનાશ:ચીનની 60+1 ન્યુક્લિયર ફોર્મ્યુલા, વોશિંગ્ટન સુધી રડારમાં, ભારત સોફ્ટ ટાર્ગેટ, અમેરિકા અને રશિયાને ધ્રૂજારી છૂટી 2. આજનું એક્સપ્લેનર:ભારતની જમીન, પાકિસ્તાને કબજે કરી, પછી ચીનને ગિફ્ટ કેમ કરી દીધી; શક્સગામ વેલીની કહાની, જેના પર ફરી હોબાળો મચ્યો 3. સ્કાયલાઇનર્સ-2 - ગુજરાતમાં 'બુર્જ ખલીફા' ઊભું કરનારા કોણ છે?:કાપડના ધંધામાંથી રિયલ એસ્ટેટમાં ઝંપલાવ્યું, 'ભૂકંપના દિવસે આંખો સામે બિલ્ડિંગ પડ્યું, ક્ષણમાં અત્યારસુધીના પ્રોજેક્ટ આવી ગયા' 4. લઠ્ઠાકાંડની તપાસમાં લવસ્ટોરીનું લોહિયાળ પ્રકરણ ખૂલ્યું:બે દિવસ સુધી મૃતકની પત્ની ઢોંગ કરતી રહી, જૂનાગઢમાં દારૂ પીને બે શખસ ઢળી પડ્યા અને તપાસમાં ATS જોડાઈ 5. દિલ્હીમાં 300 ઘર યુપી સરકારે કેમ સીલ કર્યાં?:મસ્જિદ કોલોનીના લોકો બોલ્યા, આધાર-મતદાર કાર્ડ છે છતાં તેમનો સામાન ફેંકી દેવાયો; દિલ્હીનાં મુખ્યમંત્રી ક્યાં છે? 6. હવે આવી ગયો રિમોટથી ઊડતો પતંગ, VIDEO:સુરતના 4 મિત્રોએ ભેજુ લગાવી કલરફુલ પતંગ બનાવ્યો, ચગાવવા માટે પવનની પણ જરૂર નહીં કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ રાશિફળ બુધવારનું રાશિફળ:મેષ, મિથુન અને સિંહ રાશિ માટે મકરસંક્રાંતિનો 'પવન' સારો, કન્યા-મકરના જાતકોનું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે વાંચો સંપૂર્ણ સમાચાર
બિલ્ડર દંપતીએ 50 લાખ પડાવ્યા:દુકાન બુક કરાવવાના બહાને ઠગાઈ કરનાર બિલ્ડર મનિષ પટેલ પકડાયો
ન્યૂ વીઆઈપી રોડની ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબની સાઇટમાં દુકાન બુક કરાવી તેનું પઝેશન અને દસ્તાવેજ ન કરી આપી બિલ્ડર મનિષ પટેલ અને પત્ની રૂપલે ઠગાઈ હતી. 3 બનાવમાં બિલ્ડર દંપતીએ રૂા.50 લાખ પડાવી લીધા હતા. ક્રાઈમ બ્રાન્ચે મનિષ પટેલને પકડી ગોરવા પોલીસને સોંપ્યો હતો. આજવા રોડના સુરભી પાર્ક સોસાયટીમાં રહેતાં રમીલાબેન દિનેશભાઈ મોરડિયા ઘરકામ કરે છે. વર્ષ 2015માં કેયા બિલ્ટેક એલએલપીએ નામની પેઢીના ભાગીદાર બિલ્ડર મનિષ મહેન્દ્રભાઈ પટેલ (સિલ્વર પાર્ક, રેસકોર્સ)એ ન્યૂ વીઆઈપી રોડ અર્થ આઈકોન સામે ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબ નામની દુકાન અને ઓફિસની સ્કીમ લોન્ચ કરી હતી. રમીલાબેને આ સ્કીમમાં 17 લાખમાં દુકાન બુક કરાવી હતી. તેમને શરૂઆતમાં રૂા.1.50 લાખ બુકિંગ પેટે આપ્યા હતા. ત્યારબાદ દુકાન માટે કુલ રૂા.6.15 લાખ ચૂકવ્યા હતા. જોકે સાઇટનું બાંધકામ અધૂરું જ રખાયું હતું, જેથી રમીલાબેનને દુકાનનો કબ્જો પણ સોંપાયો નહોતો. આ મામલે કેયા બિલ્ટેક એલએલપીએ નામની પેઢીના ભાગીદાર મનિષ પટેલ અને રૂપલબેન મનિષ પટેલ સામે બાપોદ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો. મનિષ પટેલ સામે 2025-26 દરમિયાન ગોરવા અને બાપોદના બે મળીને કુલ 3 ગુના નોંધાયા હતા અન લાંબા સમયથી નાસતો ફરતો હતો. તેણે લોકો પાસેથી રૂા.50 લાખ મેળવી લીધા હતા. ક્રાઈમ બ્રાન્ચે મનિષ પટેલને પકડી ગોરવા પોલીસને સોંપ્યો હતો. જ્યારે પોલીસે બિલ્ડરના બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
બાળકીનું મોત:સૉ મિલના રૂમમાં ઉકળતું પાણી પડતાં દાઝી ગયેલી દોઢ વર્ષની બાળકીનું મોત
હરણી ગામમાં ગોડાઉનમાં રહીને મજૂરી કરતા શ્રમજીવીના રૂમમાં ગરમ પાણી દોઢ વર્ષની દીકરી પર ઢોળાતા તે ગંભીર રીતે દાઝી જતાં તેને સયાજી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં અધૂરી સારવાર દરમિયાન દીકરીના માતાપિતા તેને ઘરે લઈ આવ્યા હતા. જોકે ઘરે બાળકીનું મોત થઈ ગયું હતું. હરણીમાં આવેલા ભગવતી સો-મિલ ગોડાઉનના રૂમમાં રહેતા રાજેશ સંગાડા પરિવાર સાથે રહી મજૂરી કરે છે. સોમવારે તેઓ મજૂરી માટે નીકળી ગયા હતા. રૂમમાં તેમની પત્ની સીતા અને તેમના ત્રણ સંતાનો હાજર હતા. રાજેશભાઈના મોટા દીકરાને શાળામાં જવાનું હોવાથી પત્નીએ રૂમની બહાર પાણી ગરમ કરવા ચૂલો કર્યો હતો. દોઢ વર્ષની દીકરી આધ્યા રમતા રમતા ચૂલા પાસે પહોંચી જતાં હાથ ગરમ પાણીના તપેલાને વાગતા ઉકળતું પાણી આધ્યા પર ઢોળાયું હતું. પેટના નીચેના ભાગથી ગંભીર રીતે દાઝી ગઈ હતી. જેથી તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ટૂંકી સારવાર બાદ રાજેશભાઈ દીકરીને ઘરે લઈ આવ્યા હતા. મંગળવારે સવારે આધ્યા તેની માતાના ખોળામાં હતી. જોકે અચાનક તેનું હલન-ચલન બંધ થઈ જતા તેને ફરી વાર હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. આધ્યા ગંભીર રીતે દાઝી જતા તેને સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલના ચોપડે તેની નોંધ કરવામાં આવી હતી. જોકે નોંધ તે પ્રકારે કરાઈ હતી કે, દર્દીના માતા-પિતા ડૉક્ટરની સલાહ વિરુદ્ધ રજા લઈ જતા રહ્યા હતા. આ સાથે માતાપિતાએ દીકરીનું પોસ્ટમોર્ટમ પણ કરાવ્યું નહોતું. 3 મિનિટમાં ઘટના બની ગઈમારા દીકરાને નવડાવીને મારી પત્ની દીકરાને રૂમમાં મૂકવા માટે ગઈ હતી. સાથે મારી દીકરી માટે તે ઠંડુ પાણી લેવા માટે ગઈ હતી. પાણી લઈને આવે તે પહેલા માત્ર 3 મિનિટમાં ઘટના બની ગઈ હતી. અમને તબીબે કહ્યું હતું કે, તબીયત સારી છે. દીકરીને ઘરે લઈ જઈ શકો છો એટલે અમે લઈ ગયા હતા. 2 દિવસ બાદ બતાવવા આવવા માટે કહ્યું હતું. દીકરીની તબીયત સારી લાગતી હતી. > રાજેશભાઈ સાથે થયેલી વાતચીત અનુસાર
રસાકસી:બીસીએમાં ચૂંટણીનો દોર શરૂ, બે દિવસમાં 650થી વધુ ફોર્મનું વિતરણ, 31 સભ્યો માટે ચૂંટણી યોજાશે
બરોડા ક્રિકેટ એસોસિયેશનમાં હવે ચૂંટણીનો દોર શરૂ થઈ ગયો છે. આગામી 15 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાનાર છે. ત્યારે ચૂંટણીને લઈ સોમવારે અને મંગળવારે 650થી વધુ ઉમેદવારીના ફોર્મનું વિતરણ કરાયું હોવાનું જાણવા મળ્યું હતું. 31 સભ્ય માટે ચૂંટણી યોજાનાર છે. બીસીએની એપેક્ષ કાઉન્સિલમાં 12 સભ્યો પૈકી આઈસીએમાંથી બે સભ્યો બિનહરિફ ચૂંટાઈને આવ્યા હતા. 10 એપેક્ષ કાઉન્સિલ અને 21 ચૂંટાયેલી કમિટીના સભ્યની ચૂંટણી થશે. ચૂંટણીના ફોર્મ તા.17-19 જાન્યુઆરી દરમિયાન સબમિટ કરવાના રહેશે, જ્યારે ચૂંટણી અધિકારી અને તેમની ટીમની સાક્ષીમાં તા.20 જાન્યુઆરીએ ફોર્મની ચકાસણી કરાશે. બીજી બાજુ કાઉન્સિલના લગભગ 6 સભ્યને કુલિંગ પિરિયર્ડ છે. જેને લઈ આ વખતની ચૂંટણી ભારે રસાકસીવાળી રહેનાર છે. અગાઉ ફોર્મ વિતરણની તારીખોને લઈ પણ વિવાદ થયો હતો. જોકે ચૂંટણીના ફોર્મ વિતરણની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ હતી. હવે કેટલા ફોર્મ ભરીને સબમિટ કરાવાય છે, કેટલાક ફોર્મ પરત ખેંચી લેવાય છે. તે જોવાનું રહ્યું છે. આગામી સમયમાં ડબ્લ્યુપીએલની મેચો પણ કોટંબી સ્ટેડિયમમાં યોનાજાર છે. જોકે તે સમયે ચૂંટણીના ભારે રસાકસીના માહોલમાં છેલ્લી ઘડીએ શું થાય છે તેના પર સૌની નજર છે. વર્ષ 2023ની ચૂંટણી બાદ પક્ષોનાં સમીકરણ બદલાયાંબીસીએની વર્ષ 2019ની ચૂંટણી લોઢા કમિટીના નિયમ મુજબ થઈ હતી. જે-તે સમયે પ્રણવ અમીનના ગ્રૂપ સાથે ડૉ.દર્શન બેંકર હતા. મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને સંજય પટેલનું એક ગ્રૂપ હતું. 2023ની ચૂંટણી આવતા સમીકરણો બદલાયા અને કેટલાક વિખવાદને કારણે બેંકર છૂટા પડ્યા હતા, હવે સંજય પટેલ સહિત બેંકરે સત્યમેવ જયતે ગ્રૂપ બનાવ્યું હતું. કોટંબી સ્ટેડિયમમાં ભારત-ન્યૂઝીલેન્ડ મેચ બાદ બીસીએના સભ્યોનો રસ વધ્યોકોટંબી સ્ટેડિયમ બન્યા બાદ ભારત-ન્યૂઝીલેન્ડની મેચ સુધી નવા સ્ટેડિયમમાં 16 મોટી મેચ રમાઈ ચૂકી છે. ઘણા સભ્યોએ મેચ દરમિયાન સુવિધા અનુભવી હતી, સાથે જ મેચના કેટલાક નિર્ણય સહિતની પ્રક્રિયામાંથી પણ પસાર થયા હતા. જેથી સભ્યોમાં પદનો રસ વધ્યો હોવાનું કેટલાક લોકોનું માનવુ છે. 10 એપેક્ષ કાઉન્સિલ સભ્ય અને 21 કમિટીના સભ્યો માટે ચૂંટણીબીસીએમાં પહેલાં 10 એપેક્ષ કાઉન્સિલ સભ્ય અને બીજા 21 ચૂંટાયેલી કમિટીના સભ્યોની ચૂંટણી યોજાનાર છે. એપેક્ષમાં બે ભાગ છે, જેમાં પહેલાં 5 પધાધિકારી પ્રમુખ, સેક્રેટરી, ખજાનચી વગેરે અને 21 કમિટી સભ્યોમાં ગ્રાઉન્ડ્સ એન્ડ ઈન્ફ્રા, પ્રેસ એન્ડ પબ્લિસિટી અને ફાયનાન્સ કમિટીના સભ્ય હોય છે.
ભાસ્કર નોલેજ:મંજૂસર જીઆઇડીસીની એવી સ્ટીલ કંપનીમાં ઓઇલ ટેન્કરમાં ધડાકો, દાઝેલા શ્રમિકનું મોત
મંજૂસર જીઆઈડીસીમાં ગેસ કટર દ્વારા શ્રમજીવી કામ કરી રહ્યા હતા તે દરમિયાન ગેસ લીકેજ થતાં તેઓ દાઝી ગયા હતા. જેને પગલે તેઓને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું મોત થયું હતું. મંજૂસર પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી હતી. પોર ખાતે રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના ચિત્રકૂટના 46 વર્ષીય રાજા સિંહ મંજૂસર જીઆઈડીસીમાં આવેલી એ.વી. સ્ટીલ કંપનીમાં નોકરી કરતા હતા. મંગળવારે બપોરે 12 વાગ્યાના અરસામાં તેઓ ગેસ કટર દ્વારા ફોર્જિંગ વિભાગમાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન ગેસ લીકેજ થતાં નજીકમાં રહેલા ઓઈલ ટેન્કરમાં બ્લાસ્ટ થયો હતો. જેને પગલે રાજાભાઈ ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટના બનતાં લોકો દોડી આવ્યા હતા અને તેમને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે દાઝી ગયેલા રાજાભાઈને તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બાબતે મંજૂસર પોલીસે અકસ્માત મોત નોંધીને તપાસ હાથ ધરી હતી. આસપાસ જ્વલનશીલ પદાર્થ ન રાખવો જોઈએગેસ કટર દ્વારા કામ ચાલતું હોય ત્યારે આસપાસ ઓઈલ પેઈન્ટ, ટર્પેટાઈન સહિત કોઈ પણ પ્રકારનો જ્વલનશીલ પદાર્થ ન રાખવો જોઈએ. જેથી કોઈ પણ દુર્ઘટનાને ટાળી શકાય. જ્યારે કોઈ પણ શ્રમજીવી ગેસ કટિંગ કે વેલ્ડિંગનું કામ કરી રહ્યા હોય ત્યારે તેની આસપાસ ફાયર એક્સ્ટિંગ્યૂશર નજીકમાં રાખવું જોઈએ. આ સાથે કંપની કે ફેક્ટરીમાં હાઈન્ડન્ટ ફાયર સિસ્ટમ પણ લગાવેલી હોવી જોઈએ.
ઉત્તરાયણના આગલા દિવસે કાઉન્સિલરે વેરાનું વળતર તો મળવું જ જોઈએ તેવા મેસેજ સાથેની પતંગો વહેંચી હતી. લોકોને 5 વર્ષમાં બોટકાંડ, પૂર, ખાડા, ગંદું પાણી જેવી સમસ્યાને ધ્યાનમાં રાખી ચૂંટણીમાં બટન દબાવવા અપીલ કરી છે. વોર્ડ 15ના કાઉન્સિલર આશિષ જોષીએ 550થી વધુ સોસાયટીમાં પતંગ વહેંચી હતી.તેમનું કહેવું કે, લોકોએ જે પ્રમાણે વેરો ભર્યો તે મુજબ વળતર મળ્યું નથી. ગંદું પાણી, ખાડા, ભૂવા, પૂરની સ્થિતિ જેવી ઘટના બાદ પીડિતોને વળતર મળ્યું નથી. તેઓએ ધારાસભ્યોએ કરેલી રજૂઆતને સમર્થન આપી કહ્યું કે, અધિકારીઓ સાંભળતા નથી. લોકો લાગણીવશ થઈને નહીં, જે હાલાકી પડી છે તેને યાદ રાખી ચૂંટણીમાં બટન દબાવે. ઉત્તરાયણથી જ ચૂંટણી પ્રચાર શરૂ કર્યોભાજપમાંથી સસ્પેન્ડ થયા બાદ આશિષ જોષી પાલિકાની ચૂંટણી અપક્ષ તરીકે લડશે.બોટકાંડ પીડિતોની સાથે રહેલા આશિષ જોષીએ વોર્ડ 15માં દાવેદારીને મજબૂત કરવા ઉત્તરાયણના બહાને પ્રચાર શરૂ કર્યો છે. તેઓ ગંદા પાણી, ખાડા, પૂરમાં ન મળેલી સહાયને મુખ્ય મુદ્દા બનાવશે તેમ લાગે છે.
લહેરીપુરા અને દિવાળીપુરામાં મંગળવારે સાંજે 4-15થી 4-30 વાગ્યા વચ્ચે 15 મિનિટમાં 2 મકાનોમાં આગના બનાવો બન્યા હતા. લહેરીપુરા વિસ્તારમાં એક મકાનના ત્રીજા માળે ઘરઘંટીમાં આગ લાગ્યા બાદ પ્રસરી હતી. લહેરીપુરા પાસેના ખારવાવાડમાં 4 માળના એક મકાનમાં પહેલા અને બીજા માળે બે ભાઇનો પરિવાર રહે છે. મંગળવારે બપોરે તેના ત્રીજા માળે આગ લાગી હતી. આ મકાનમાં ત્રીજા માળે ઘરઘંટીમાં પરિણીતાએ ચણા દાળ દળ્યા બાદ સ્વિચ બંધ કરી હતી. તેઓ નીચે આવ્યા બાદ 10 મિનિટમાં જ આગ ભભૂકી હતી. આ મકાન પાસે પાડોશની અગાસીમાં છોકરાઓ પતંગ ચગાવતા હતા. તેમણે ધુમાડાના ગોટેગોટા નીકળતાં જોતાં બૂમાબૂમ કરી મૂકી હતી આગની જાણ થતાં લોકો ત્રીજા માળે ધસી ગયા હતા. જોકે વીજ લાઇન ચાલુ હોવાથી ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આ દરમિયાન અનાજ અને ગોદડીઓ સહિત અન્ય સામાન આગની ઝપટમાં આવી જતાં આગ વકરી હતી. આખરે લાશ્કરોએ આવીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. વાયર ગરમ થતાં આગ લાગી, અર્થલૂપ ઇમ્પિડન્સ ટેસ્ટ કરાવોઘંટી લાંબો સમય ચાલુ રાખી હોય અને વાયર યોગ્ય માનાંક પ્રમાણે ન હોય કે ઘસાઇ ગયો હોય તો તે ખૂબ ગરમ થઇ જાય છે. એટલે જો સ્વિચ બંધ પણ કરી હોય તો પણ આગ લાગી શકે છે. આવા કિસ્સાથી બચવું હોય તો અર્થલૂપ ઇમ્પિડન્સ ટેસ્ટ વાયરિંગ માટે કરાવવો જોઇએ. આ માટેનો ખર્ચ ઓછો હોય છે. > હેમિલ ભટ્ટ, વડોદરા ઇલેક્ટ્રિકલ લાઇસન્સ કોન્ટ્રાક્ટર દિવાળીપુરામાં મોટરની સ્વિચ બંધ કરવાનું ભૂલી જતાં આગશહનાર દિવાળીપુરા વિસ્તારમાં આવેલી દેવ હોસ્પિટલ સામેના બંગલામાં મોટરની સ્વિચ ચાલુ રાખીને ભૂલી જતાં આગ લાગી હતી. આ મોટરના વાયરિંગ સાથે સબમર્સિબલ અને બોરિંગનું વાયરિંગ હોવાથી તે પણ ઝપટમાં આવે તે અગાઉ પ્લાસ્ટિક કોમ્પોનન્ટ્સ અને સર્કિટ બોર્ડ બળી ગયાં હતાં. આ વિશે તજ્જ્ઞ દક્ષેસ દવેના જણાવ્યા મુજબ જો ટાંકીમાંથી પાણી ખાલી થઇ જાય તો મોટરનો ડ્રાયરન કહેવાય છે. જેમાં મોટરનું વાઇન્ડિંગ ગરમ થયા બાદ આગ લાગે છે.
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પ્રથમવાર ગુજરાત અને દેશમાં વડોદરાના યુવકની જર્મન બેઝ કંપનીએ ડ્રોન એઆઈ ટેક્નોલોજી થકી સરવે શરૂ કર્યો છે. હાલમાં સુભાષ બ્રિજનો ડ્રોન થકી થ્રીડી સરવે કર્યા બાદ તેમાં થયેલી નુકસાનીનું તારણ જાણી શકાયું અને ઈજનેરોએ તેને તોડવાનો નિર્ણય કર્યો હતો. આ ટેક્નોલોજી બ્રિજનું લાઈવ થ્રીડી મોડલ બનાવે છે. જેમાં ઈજનેરો ન પહોંચી શકે તેવા દરેક ખૂણામાં જ્યાં બ્રિજને ક્ષતિ પહોંચી છે તેની જાણકારી મળે છે. કંપની બ્રિજ-ડેમના સ્ટ્રક્ચરના પ્રિ-પોસ્ટ મોન્સૂન સરવે કરે છે. જર્મની બેઝ કંપની એર ઈન્ટેલના ફાઉન્ડર કુંજન પટેલ એઆઈ પાવર્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેન્ટેનન્સ પ્લેટફોર્મ પર કામ કરી રહ્યા છે. તેમની કંપની ડ્રોન એઆઈ ટેક્નોલોજીમાં કાર્યરત છે. ગંભીરા દુર્ઘટના બાદ એર ઈન્ટેલ કંપનીએ 10થી વધુ બ્રિજનો ડ્રોન એઆઈ ટેક્નોલોજીથી સરવે કર્યો છે. કુંજન પટેલે જણાવ્યું કે, બ્રિજ અને ડેમના સ્ટ્રક્ચરનું કોમ્પ્રેહેન્સિવ કન્ડિશન એસેસમેન્ટ કરીને 0.7 એમએમ સુધીની તિરાડ અંગેની જાણ ટેક્નોલોજી કરી આપે છે. ડ્રોનમાં લગાવેલા આ 4 સેન્સરની મુખ્ય ભૂમિકા કંપનીએ એઆઈ ટેક્નોલોજીથી આ મુખ્ય બ્રિજ-ડેમનો સરવે કર્યો1) વેસ્ટ બંગાળમાં દુર્ગાપુરના સ્ટેટ હાઈવે પરનો બ્રિજ 2) વેસ્ટ બંગાળમાં પંચેટ ડેમ 3) ઝારખંડનો મૈથન ડેમ 4) ઝારખંડ તિલૈયા ડેમ 5) કર્ણાટકનો ભાદરા ડેમ 6) કર્ણાટકનો મીલેટ ડેમ 7) સેલવાસનો ખાનવેલ બ્રિજ 8) સેલવાસનો રખોલી બ્રિજ 9) સુભાષ બ્રિજ
આધુનિક ટ્રાન્સપોર્ટ:શહેરીજનોને ટ્રાફિકથી છુટકારો આપવા પોડ ટેક્સીનો પાઇલટ પ્રોજેક્ટ શરૂ કરવા નિર્ણય
શહેરમાં ઈ-બસ અને આગામી સમયમાં મેટ્રો ટ્રેન બાદ હવે પોડ ટેક્સી પ્રોજેક્ટ શરૂ થવાની દિશામાં કામગીરી શરૂ કરાઈ છે. પાલિકાની રિવ્યૂ બેઠક પૂર્વે યોજાયેલી બેઠકમાં ટ્રાફિક જામથી ત્રસ્ત વિસ્તારમાં આ પાઇલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવા અંગે ચર્ચા કરાઈ હતી. પાલિકામાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં થયેલી ચર્ચા મુજબ આ પ્રોજેક્ટ પર્સનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ પર આધારિત છે, જે શહેરની ટ્રાફિક સમસ્યા ઘટાડવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે. આફ્રિકાની કંપનીએ વડોદરામાં પોડ ટેક્સી મેન્યુફેક્ચરિંગ શરૂ કર્યું છે. આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે સોલર બેઝ્ડ રહેશે. મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ અને વિશાખાપટ્ટનમ જેવાં મહાનગરોમાં પણ આ પ્રોજેક્ટની તૈયારી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મ્યુ. કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં શહેરમાં ટ્રાફિકથી ત્રસ્ત વિસ્તારમાં સરવે કરીને પોડ ટેક્સી પ્રોજેક્ટને તબક્કાવાર અમલમાં મૂકવામાં આવશે. પોડ ટેક્સીઓ (પર્સનલ રેપિડ ટ્રાન્ઝિટ) શું છે? દૂષિત પાણીની સમસ્યા, હવે ખાનગી હોસ્પિટલ પાસેથી આંકડા મગાવાશેવિવિધ વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાની વ્યવસ્થા શરૂ કરાઈ છે. પાલિકાએ હવે ખાનગી હોસ્પિટલો પાસેથી આંકડા મગાવવાનું શરૂ કર્યું છે. જેનાથી એ જાણવા મળશે કે, કયા વિસ્તારમાં દૂષિત પાણીના પ્રશ્નો છે. પાલિકાએ હાલમાં પણ દૂષિત પાણીના સમારકામને પ્રાધાન્યતા આપી છે. પાલિકાએ 1200 પ્લોટ શોધ્યા, કોમર્શિયલ પ્રવૃત્તિઓ માટે અપાશેપાલિકાએ 1200થી વધુ ઓપન પ્લોટ શોધ્યા છે, જેમાં 490 પ્લોટ પરથી દબાણ હટાવી દેવાયાં છે. જ્યારે 600થી વધુ પ્લોટ પર ગેરકાયદે બાંધકામ હોય તો દૂર કરાશે. આગામી સમયમાં પાર્કિંગ, હોકિંગ ઝોન અને કોમર્શિયલ પ્રવૃત્તિ માટે અપાશે.
બગસરા નગરપાલિકાના પ્રમુખ જ્યોત્સનાબેન રીબડીયાના બદલે તેમના પતિ એ. વી. રુબડીયા જ તમામ પ્રકારનો વહિવટ કરી સહિ કરવા અને નિર્ણય લેવા સુધીના કામ કરતા હોય આ અંગે રજૂઆત છતાં કોઈ પગલાં ન લેવાતા સ્થાનિક રહીશે હાઈકોર્ટમાં મામલો ઉઠાવ્યો છે. જેને પગલે હવે હાઈકોર્ટે નિયામકને તપાસ સોંપી છે. બગસરાના દિનેશભાઈ ભાનુભાઈ હડિયલે આ બારામાં હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. તેમણે અગાઉ જુદા જુદા સ્થળે પાલિકા પ્રમુખના બદલે તેમના પતિ વહિવટ ચલાવતા હોવા અંગે રજૂઆત કરી હતી. જ્યોત્સનાબેન રીબડીયા ભાગ્યે જ નગરપાલિકામાં આવે છે. તેમની ખુરશી પર બેસી પતિ એ.વી.રીબડીયા વહિવટ ચલાવે છે. એટલું જ નહી તમામ નિર્ણયો પણ તે જ લે છે, પત્નિના નામની સહિ પણ તે જ કરે છે. મીટીંગમાં પણ તેઓ જ હાજર રહે છે અને મીડિયા સમક્ષ પણ તેઓ જ ઉપસ્થિત થાય છે. આ અંગે જુદા જુદા સ્તરે રજૂઆત છતાં કોઈ જ પગલાં લેવાયા ન હતા. આ મામલો આજે હાઈકોર્ટમાં ચાલી જતા અદાલતે મામલાને ગંભીર ગણી આ અંગે પાલિકાના પ્રદેશ નિયામકને તપાસનો આદેશ કર્યો હતો. દિનેશભાઈએ અદાલતમાં એ.વી.રીબડીયા પાલિકામાં પ્રમુખની ચેમ્બરમાં ખુરશી પર બેઠા હોય અને વહિવટ ચલાવતા હોય તથા મીડિયાને સંબોધન કરતા હોય તેવા ફોટોગ્રાફ પણ અદાલતમાં રજુ કર્યા હતા. હું પ્રમુખની નહી બાજુની ખુરશીમાં બેસુ છું આ અંગે એ.વી.રીબડીયાએ જણાવ્યું હતું કે હું પ્રમુખની ખુરશીમાં બેસતો નથી. બાજુની ખુરશીમાં બેસુ છું. હું ક્યારેય પ્રમુખની સહિ કરતો નથી. મારા પત્નિ જ તમામ નિર્ણયો લે છે. તેઓ બીએસસી એગ્રી સુધી ભણેલા છે અને નિર્ણય લેવા સક્ષમ છે.
અમરેલી જિલ્લાના શિક્ષણ જગતને કંલક લગાડતી એક ઘટનામાં વિદ્યાસભાની બીસીએ કોલેજની છાત્રાઓ આબુના પ્રવાસે ગઈ હતી ત્યારે કોલેજના નિયામક ગીરીશ ભીમાણીએ પાછળથી પોતાની કાર લઈ આબુ પહોંચી નશાની હાલતમાં 10 જેટલી છાત્રાઓની છેડતી કરી અડપલા કર્યાનું બહાર આવ્યું છે. વિધાનસભાના પ્રમુખ વસંતભાઇ ગજેરાએ જણાવ્યું હતું કે છાત્રોની છેડતી અંગે રજૂઆત મળતા વિદ્યાસભાએ તાબડતોબ ભીમાણીની હકાલપટ્ટી કરી છે. છાત્રાઓ આ મુદ્દે પોલીસ મથકે પણ પહોંચી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પૂર્વ વાઈસ ચાન્સલર ગીરીશ ભીમાણીએ આબુમાં લખણ ઝળકાવ્યા છે. યુનિવર્સીટીમાંથી નિવૃત થયા બાદ જાણકાર હોવાના નાતે અમરેલી જિલ્લા વિદ્યાસભામાં તેને કોલેજ વિભાગમાં નિયામક બનાવવામાં આવ્યા હતા. પરંતુ અહીં પણ તેમણે પોત પ્રકાશ્યું હતું અને કોલેજની છાત્રાઓની છેડતી કરી હતી. અમરેલી એબીવીપીના અગ્રણી ભીષ્મ ભરાડે જણાવ્યું હતું કે અહીંની બીસીએ કોલેજના છાત્ર- છાત્રાઓનો એક પ્રવાસ ત્રણ દિવસ પહેલા આબુ ગયો હતો. ગઈકાલે આ પ્રવાસનો છેલ્લો દિવસ હતો. ત્યારે ગઈકાલે ગીરીશ ભીમાણી પોતાની કાર લઈ આબુ પહોંચી ગયા હતા. એબીવીપીના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે દારૂના નશામાં ભીમાણીએ છાત્રાઓને સારી હોટલમાં રહેવાની અને કોલ્ડ્રીંક્સ પીવડાવવાની લાલચ આપી હતી અને આ બહાને 10 જેટલી છાત્રાઓના શરીરે અડપલા કરી બીભત્સ વર્તન કર્યું હતું અને તેમની હાજરીમાં બીભત્સ વાર્તાલાપ કર્યો હતો. સાથે ગયેલા સ્ટાફે મામલો થાળે પાડ્યો હતો. પરંતુ છાત્રાઓએ એબીવીપીના આગેવાનોને વાત કરતા સવારે પ્રવાસ પરત આવ્યો ત્યારે કાર્યકરો વિદ્યાસભામાં પહોંચી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. છાત્રાઓ સાથે આ કાર્યકરો અમરેલી સીટી પોલીસ મથકે પણ દોડી ગઈ હતી. જો કે સ્થાનિક પોલીસ કર્મીઓએ તેને આ ફરિયાદ આબુમાં થઈ શકે તેમ સમજાવી વળાવી દીધા હતા. બીજી તરફ આ અંગે જાણ થતા વિદ્યાસભા મેનેજમેન્ટ દ્વારા ગીરીશ ભીમાણીને નિયામકના હોદ્દા પરથી તાબડતોબ દૂર કરવામાં આવ્યા છે. છાત્રોએ હવે ગીરીશ ભીમાણી વિદ્યાસભાના કેમ્પસમાં ક્યારેય પગ ન મુકે તેવી માંગ કરી છે. દિવ્ય ભાસ્કરે આ ઘટનામાં ખરેખર શું છે તે જાણવા વારંવાર ગિરીશ ભીમાણીનો સંપર્ક કર્યો હતો પણ તેમણે ફોન ઉઠાવ્યો ન હતો. લે બેટા…કોલ્ડ્રીંક્સ પી તેમકહેતા કહેતા એક પછી એકયુવતિના શરીરે અડપલા કર્યાએબીવીપીના આગેવાનોને છાત્રાઓએ એવી ફરિયાદ કરી હતી કે ગીરીશ ભીમાણી આબુમાં તેમની પાછળ કાર લઈને આવ્યા હતા અને તેઓ જ્યા રોકાયા હતા ત્યા નશાની હાલતમાં તેમની પાછળ આવ્યા હતા. છાત્રાઓને સારી હોટલમાં ઉતારવાની અને જમાડવાની લાલચ આપી હતી. પરંતુ છાત્રાઓ તૈયાર ન થતા પરાણે કોલટ્રીંક્સ પીવડાવવાનો પ્રયાસ કર્યો હતો. એક પછી એક છાત્રાને તેણે લે બેટા... કોલટ્રીંક્સ પી તેમ કહી શરીરે અડપલા કર્યા હતા અને છાત્રાઓની હાજરીમાં બીભત્સ અને દ્વિ અર્થી વાતો કરી હતી. આજે સવારે છાત્રાઓ પરત અમરેલી આવી ગઈ હતી. પરંતુ ગીરીશ ભીમાણી વિવાદ થવાની આશંકાએ પરત આવ્યા ન હતા. સાથે ગયેલા સ્ટાફે પણ અમને કહ્યું કે આવું બન્યું હતું: એબીવીપી એબીવીપીના ભાવનગર વિભાગના સંયોજક ભીષ્મ ભરાડે જણાવ્યું હતું કે છાત્રાઓએ અગાઉ વાત કરી હોય અમે પ્રવાસ પરત આવવાના સમયે જ વિદ્યાસભામાં પહોંચ્યા હતા. સાથે ગયેલા સ્ટાફે પણ આવી ઘટના બની હોવાનું અમને જણાવ્યું હતું. જેથી અમે છાત્રાઓને લઈ પોલીસ મથકે પહોંચ્યા હતા. રજૂઆત મળ્યા બાદ તેમને હોદ્દાપરથી દૂર કર્યા છે: વસંતભાઇ ગજેરાઅમરેલી જિલ્લા વિદ્યાસભાના ચેરમેન વસંતભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે કોલેજના પ્રવાસની ઘટના અંગે અમને મોખિક રજૂઆત મળી છે અને આજે ગીરીશ ભીમાણીને તેમના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે.
શહેરમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના પતંગ મહોત્સવમાં વિદેશી પતંગબાજોએ ભાગ લીધો હતો. મેયરે અભિવાદન સમારોહમાં દુભાષિયા તરીકે માટે સ્થાયી ચેરમેનની પસંદગી કરી કહ્યું હતું કે, હું ગુજરાતીમાં બોલીશ અને સ્થાયી સમિતિ ચેરમેન તેનું ટ્રાન્સલેશન કરશે. મેયરે કરેલી જાહેરાત બાદ સ્ટેજ પર બેઠેલા નેતાઓ એક તબક્કે આશ્ચર્ય ફેલાયું હતું. નવલખીમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના 152 પતંગબાજોએ ભાગ લીધો હતો. સવારે કાર્યક્રમ શરૂ થતાં મેયર પિન્કીબેન સોનીએ સંબોધન શરૂ કર્યું હતું. આ કાર્યક્રમમાં વિદેશથી આવેલા પતંગબાજો પણ ઉપસ્થિત હતા. મેયરે સંબોધન શરૂ કરતાં સ્થાયી ચેરમેન ડો.શીતલ મિસ્ત્રીને દુભાષિયા બનાવ્યા હતા. તેઓએ કહ્યું કે, પોતાની સંસ્કૃતિ મુજબ ગુજરાતી ભાષામાં સંબોધન કરશે અને તેનું ટ્રાન્સલેશન સ્થાયી ચેરમેન ડો.શીતલ મિસ્ત્રી કરશે. આ સાંભળી એક તબક્કે સ્ટેજ પર બેઠેલા નેતાઓ સહિત ઉપસ્થિતોમાં આશ્ચર્ય સાથે હાસ્ય રેલાયું હતું. મેયરે સ્થાયી ચેરમેનની દુભાષિયા તરીકે પસંદગી કરતાં ચર્ચાનો વિષય બન્યો હતો. મેયરના હાથમાંથી પતંગ લઈ ચેરમેને ચગાવીનવલખીમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં દેશ-વિદેશના પતંગબાજોની સાથે પદાધિકારીઓએ પણ હાથ અજમાવ્યો હતો. જેમાં મેયરના હાથમાંથી પતંગ લઈને ચેરમેને ચગાવી હતી. પતંગ મહોત્સવમાં હરણી બોટકાંડના આરોપી ગોપાલ શાહ હાજર રહેતાં આશ્ચર્યપતંગ મહોત્સવમાં રાજકીય નેતાઓ, પદાધિકારીઓ, કાઉન્સિલરો, અધિકારીઓ અને પતંગ રસિકોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પાલિકાના પૂર્વ ટાઉન પ્લાનર અને હરણી બોટકાંડના આરોપી ગોપાલ શાહ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે ભારે ચર્ચા જગાવી હતી. જોકે વિવાદ થવાની શક્યતા પ્રબળ થતી જણાતાં ગોપાલ શાહ રવાના થયા હતા.
ઉત્તરાયણની ઉજવણી:ઉત્તરાયણની પૂર્વ રાતે પતંગ બજારોમાં હરાજીમાં લોકો ઊમટ્યાં
ઉત્તરાયણ પર્વે 4 થી 12 કિમીના પવનો ફૂંકાવાની સંભાવના છે. જેમાં સવારે પવનની ગતિ ઓછી હોવાથી લોકોને પતંગ ચગાવવા ઠૂમકા મારવા પડી શકે છે. જોકે બપોર બાદ પવનની ગતિ વધશે. જ્યારે વાસી ઉત્તરાયણે સમગ્ર દિવસે પવનની ગતિ 4 થી 8 કિમી વચ્ચે રહી શકે છે. જ્યારે ઉત્તરાયણ પૂર્વે મંગળવારની મોડી રાતે માંડવી સ્થિત પતંગ બજારમાં રાતે 12 વાગે હરાજી થઈ હતી. જેમાં પતંગની ખરીદી કરવા મોટી સંખ્યામાં લોકો ઊમટ્યાં હતાં. ભારે ભીડને કારણે પોલીસે માંડવીથી ગેંડીગેટ સુધી વાહન વ્યવહાર બંધ કર્યો હતો. સાથે દિવાળીપુરા, ચકલી સર્કલ, હરણી રોડ, સંગમ, વાઘોડિયા રોડ જેવા વિસ્તારમાં પણ લોકો પતંગ સહિતની ખરીદી માટે ઊમટી પડ્યા હતા. 8 થી 12 કિમીનો પવન પતંગ ચગાવવા માટે ઉત્તમશહેરમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે 4 થી 12 કિમી સુધીના પવનો ફૂંકાશે. આમ તો પતંગ ચગાવવા માટે 8 થી 12 કિમીનો પવન યોગ્ય ગણાય છે. જ્યારે ઉત્તરાયણના બંને દિવસોમાં ગરમીનો પારો 29 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે. જ્યારે ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાશે. > અંકિત પટેલ, હવામાન શાસ્ત્રી બપોરે 3:06 વાગ્યાથી સૂર્યાસ્ત સુધી દાન-પુણ્ય કરી શકાશેઉત્તરાયણનો પ્રારંભ બુધવારે બપોરે થાય છે. બપોરે 3:06થી સૂર્યાસ્ત સુધી દાન-પુણ્ય કરી શકાશે. જ્યારે ઉદ્યાત તિથિ તરીકે 15મીએ આખો દિવસ દાન કરી શકાશે. ષટતિલા એકાદશી હોવાથી તલના 6 પ્રકારે ઉપયોગથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે.
ભાસ્કર એનાલિસીસ:9 માસમાં જ ભુજ GSTની આવક 1108.96 કરોડને પાર
તાજેતરમાં જ અમલમાં આવેલા જીએસટી રિફોર્મ્સના હેઠળ અનેક વસ્તુઓ પર કરના દરમાં ઘટાડો કરાયો હતો. જેનાથી લોકોની ખરીદ શક્તિમાં વધારો થતા તેની સીધી અસર જીએસટી કલેક્શન પર પણ પડી છે. ભુજ જીએસટી કમિશનરેટ કચેરીના આંકડાઓ પણ તે વાત સાચી સાબિત કરી રહ્યા છે. ચાલુ નાણાકીય વર્ષના 9 મહિના ( એપ્રિલ-25થી ડિસેમ્બર-25)માં જ ભુજ જીએસટી કમિશનરેટે કુલ રૂ.1108.96 કરોડનું જીએસટી કલેકશન થયું છે. જે ગયા વર્ષ 2023-24 (એપ્રિલ-24 થી ડિસેમ્બર-24) ના રૂ. 1037.07 કરોડના કલેક્શનની સરખામણીએ અંદાજે રૂ. 124.61 કરોડ વધારો છે. જે ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો ગયા વર્ષથી 15.94% જેટલો વધારો થયો છે. કચ્છ જિલ્લામાં સ્ટીલ, સિમેન્ટ, કન્ટેનર હેન્ડલિંગ, મિનરલ્સ અને અન્ય ઔદ્યોગિક તથા વ્યાપારિક પ્રવૃત્તિઓની મજબૂત હાજરી છે. તહેવારી સીઝન દરમિયાન આ સેક્ટરોમાં વધેલી લેવડદેવડનો સીધો પ્રભાવ GST આવક પર પડ્યો હોવાનું આંકડાઓ દર્શાવે છે. ભુજ સ્ટેટ જીએસટી કમિશનરેટ હેઠળ ભુજ, માંડવી, મુન્દ્રા, અંજાર, અબડાસા, લખપત તેમજ નખત્રાણા તાલુકાનો સમાવેશ થાય છે. છેલ્લા 12 મહિનાના માસિક આંકડાઓ પર નજર કરીએ તો એપ્રિલ-25 માં સર્વાધિક રૂ. 142.61 કરોડનું કલેકશન નોંધાયું હતું. તહેવારોના સમયગાળામાં ઓક્ટોબર-25માં રૂ.103.86 કરોડના કલેક્શન દ્વારા સરકારી આવક થઈ હતી. દિવાળી સમયે ભુજ સહિત અન્ય બજારોમાં દેખાયેલી તેજી તેના સ્પષ્ટ સંકેત રૂપે સામે આવી છે. બજારમાં વધતી ખરીદી અને ઓછો કરભાર આ બંને પરિબળોના કારણે જીએસટીની આવકમાં વધારો થયો તેવું સાબિત થાય છે. વિશેષ વાત એ છે કે આ સમયગાળામાં અનેક રોજિંદી ઉપયોગની વસ્તુઓ, ઇલેક્ટ્રોનિક્સ, કન્ઝ્યુમર ગુડ્સ અને નાના વેપારીઓ માટે જીએસટી દરોમાં રાહત આપવામાં આવી હતી. આંકડાઓ મુજબ સમગ્ર કચ્છ જિલ્લાની કુલ જીએસટી આવકમાં ભુજ કચેરીનો અંદાજે 30 ટકા જેટલો ફાળો છે. જે ભુજ જીએસટી કમિશનરેટના આંકડાઓ સ્થાનિક અર્થવ્યવસ્થાની સકારાત્મક દિશા તરફ ઇશારો કરે છે.
તંત્ર નિંદ્રાધીન:રોગચાળા વચ્ચે સે-30માં પાણીની લાઇનમાં ભંગાણ
શહેરમાં દૂષિત પાણીથી ટાઇફોઇડનો રોગચાળો ફેલાયો છે ત્યારે હજુ પણ પાણીની લાઇનમાં ભંગાણનો સિલસિલો અટકતો નથી. સેક્ટર-30ની ચંદ્રોદય સોસાયટી અને કેન્દ્રીય વિદ્યાલય પાસે છેલ્લા ત્રણ દિવસથી પાણીની મુખ્ય પાઈપલાઈનમાં મોટું ભંગાણ સર્જાયું છે. આ લીકેજને કારણે દરરોજ હજારો લિટર શુદ્ધ પીવાનું પાણી રસ્તા પર વહી રહ્યું છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, જ્યાં પાણીની પાઈપલાઈન લીક થઈ રહી છે, તેની બિલકુલ નજીકથી જ ગટરની લાઈન પણ પસાર થાય છે. પાણીના સતત પ્રવાહ અને ભરાવાને કારણે ગટરનું ગંદુ પાણી શુદ્ધ પાણીની લાઈનમાં ભળી જવાની પૂરેપૂરી શક્યતા છે. જો ગંદુ પાણી પીવાના પાણીમાં ભળશે, તો સમગ્ર સેક્ટર- 30ના વસાહતીઓના આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થઈ શકે છે.
કડક વલણ:મહાત્મા મંદિરમાં કાર્યક્રમ બાદ 5 ટન કચરો ખડકાયો, એજન્સીને દંડ કરાયો
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન અને જર્મન ચાન્સેલરની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમના સમાપન બાદ ડેકોરેશનની સામગ્રી અને ફુલો સહિતનો કચરો મહાત્મા મંદિર પાસે જાહેરમાં ફેંકવા બદલ GMC દ્વારા ઇવેન્ટ મેનેજમેન્ટ એજન્સી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ પ્રકારે જાહેરમાં કચરાનો અયોગ્ય નિકાલ કરવા બદલ ‘’Ivy Aura’’ નામની એજન્સી પાસેથી 40 હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. મહાત્મા મંદિર જેવા પ્રતિષ્ઠિત સ્થળે આયોજિત કાર્યક્રમમાં ઇવેન્ટ મેનેજમેન્ટની જવાબદારી સંભાળતી ‘’Ivy Aura’’ સંસ્થા દ્વારા ડેકોરેશનમાં વપરાયેલા સામાન અને ફૂલોના કચરાનો નિકાલ નિયમ મુજબ કરવાને બદલે બેદરકારીપૂર્વક કરવામાં આવ્યો હતો. આ બાબત કોર્પોરેશનના ધ્યાને આવતા, જાહેર સ્થળે ગંદકી ફેલાવવા અને સ્વચ્છતા વ્યવસ્થામાં વિક્ષેપ પાડવા બદલ તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. એજન્સી દ્વારા આ પ્રકારે કુલ 5 ટન જેટલો કચરો મહાપાલિકાની ટીમ દ્વારા સ્થળ પર જઈને કચરો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ પબ્લિક હેલ્થ બાયલોઝ મુજબ નિયમભંગ કરવા બદલ જવાબદાર એજન્સી પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા સંબંધિત એજન્સીને કડક તાકીદ કરવામાં આવી છે કે ભવિષ્યમાં કોઈપણ કાર્યક્રમ દરમિયાન કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા જાળવવી અનિવાર્ય છે.
ભાસ્કર એક્સક્લૂસિવ:કચ્છમાં બે વર્ષમાં ડોગ બાઈટના કેસોમાં 375 ટકાનો ધરખમ વધારો !
હાલ સુપ્રીમ કોર્ટમાં રખડતા શ્વાન મુદ્દે સુનવણી ચાલી રહી છે, ત્યારે આ મુદ્દે કચ્છની સ્થિતિ પણ ગંભીર છે. કચ્છમાં રખડતા શ્વાનોનો ત્રાસ ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. સરકારી આંકડાઓ મુજબ છેલ્લા બે વર્ષમાં શ્વાન કરડવાના કેસોમાં અધધ 375 ટકાનો વધારો નોંધાયો છે. વર્ષ 2023માં સમગ્ર જિલ્લામાં ડોગ બાઈટના 4785 કેસ નોંધાયા હતા, જે 2024માં વધીને 7,95૦ સુધી પહોંચ્યા હતા. જોકે, વર્ષ 2025માં આ આંકડો તમામ મર્યાદાઓ વટાવીને 17,942 પર પહોંચી ગયો છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ખાસ કરીને ભુજ, ગાંધીધામ અને અંજાર જેવા ગીચ શહેરોમાં શ્વાનોના ટોળા રસ્તા પર અડીંગો જમાવીને બેસે છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. નગરપાલિકાઓ દ્વારા નસબંધીની પ્રક્રિયા માત્ર કાગળ પર હોવાથી શ્વાનોની વસ્તી પર કોઈ નિયંત્રણ રહ્યું નથી. હોસ્પિટલોમાં એન્ટિ-રેબીઝ વેક્સિન લેનારા દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. જે વાસ્તવિકતા જિલ્લા આરોગ્ય વિભાગના આંકડા દર્શાવી રહ્યા છે. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રસીકરણ અને નસબંધી અભિયાન તેજ કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં સ્થિતિ વધુ વરવી બની શકે છે. શહેરોની જેમ ગ્રામ્ય વિસ્તારોમાં ડોગ બાઈટના કેસોમાં સારો એવો વધારો નોંધાયો છે. જો કે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં રખડતા શ્વાનની નશબંધી સરકારના ક્યાં વિભાગ દ્વારા કરવામાં આવે છે. અને જવાબદારી ક્યાં વિભાગની છે તે મુદે જ અસમંજસતા છે. શ્વાન કરડશે તો રાજ્ય સરકારે વળતર ચૂકવવું પડશે : સુપ્રીમ કોર્ટરખડતા શ્વાન મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં કોર્ટે રાજ્યોને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. સુપ્રીમ કોર્ટની બેન્ચે ચેતવણી આપી કે કોઈપણ શ્વાનના કરડવાથી બાળક કે વૃદ્ધને ઈજા થશે કે તેઓ મૃત્યુ પામશે, તો રાજ્યને વળતર ચુકવવાની ફરજ પાડવામાં આવી શકે છે. ન્યાયાધીશ વિક્રમ નાથ, ન્યાયાધીશ સંદીપ મહેતા અને ન્યાયાધીશ એન.વી. અંજારિયાની બેન્ચે કહ્યું કે શ્વાનના હુમલાની અસર લોકોને જીવનભર વેઠવી પડી શકે છે.શ્વાનોને ખવડાવનારાઓને જવાબદાર ઠેરવવામાં આવશે. હાયપરટેન્શન, ડાયાબિટીસ અને બીપી ડોગ બાઈટમાં કારણભૂતસામાન્ય રીતે શ્વાન કરડવા પાછળ માત્ર તેની પ્રકૃતિ જવાબદાર નથી, પરંતુ બદલાતી જીવનશૈલી અને પર્યાવરણ પણ મહત્વનો ભાગ ભજવે છે. તાજેતરના રિસર્ચમાં મનુષ્યોની જેમ હવે શ્વાનોમાં પણ હાયપરટેન્શન અને ડાયાબિટીસ જેવી બીમારીઓ જોવા મળે છે. બ્લડ શુગર અનિયંત્રિત થવાથી શ્વાન માનસિક તાણ અનુભવે છે. જ્યારે શ્વાનનું બ્લડ પ્રેશર વધે છે અથવા તેને શરીરમાં સતત દુખાવો રહે છે, ત્યારે તે અત્યંત ચિડિયું અને હિંસક બની જાય છે. આવી સ્થિતિમાં હુમલો કરે છે. MSD વેટરનરી મેન્યુઅલ જે પશુચિકિત્સા માટેનું સૌથી જૂનું અને વિશ્વસનીય મેન્યુઅલ છે. તેના મુજબ હાઈ બ્લડ પ્રેશરને કારણે શ્વાનને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં તકલીફ થઈ શકે છે, જેનાથી તેના સ્વભાવમાં અચાનક બદલાવ અથવા આક્રમકતા આવી શકે છે. બદલાયેલ ખોરાક પણ મહત્વપૂર્ણડોગ બાઈટના વધતા બનાવો પાછળ બદલાયેલી ખોરાકની પદ્ધતિ એક મહત્વપૂર્ણ કારણ બની રહી છે. રખડતા શ્વાનોને અગાઉ ઘરગથ્થુ બચેલુ ખોરાક, અનાજ અને દૂધ જેવી સરળ ખોરાક ઉપલબ્ધ હતી, પરંતુ હવે ફાસ્ટફૂડ, પ્લાસ્ટિકમાં ફેંકાયેલો બગડેલો ખોરાક અને રસાયણયુક્ત વેસ્ટ પર તેમની નિર્ભરતા વધી છે.
ગુજરાતે જાહેર આરોગ્ય અને વૈજ્ઞાનિક માળખાના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મંગળવારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સેક્ટર-28 ખાતે રાજ્યની પ્રથમ આધુનિક બાયો-કન્ટેન્મેન્ટ સુવિધા, બાયો-સેફ્ટી લેવલ-4 (BSL-4) લેબોરેટરી અને એનિમલ બાયો-સેફ્ટી લેવલ (ABSL) યુનિટનો શિલાન્યાસ કરવામાં આવ્યો. આ સુવિધા ભવિષ્યમાં આવનારી મહામારીઓ સામે તૈયારી વધારવા અને ઉચ્ચ સ્તરના સંશોધન માટે વિકસાવવામાં આવી રહી છે. BSL-4 લેબોરેટરી બાયો-સુરક્ષાનો સૌથી ઊંચો સ્તર છે, જ્યાં ઇબોલા, મારબર્ગ અને ક્રિમિયન-કોંગો હેમોરેજિક ફીવર (CCHF) જેવા અત્યંત ખતરનાક અને ચેપ લાગતા વાયરસ પર સુરક્ષિત રીતે સંશોધન થાય છે. આવા રોગોના અસરકારક ઇલાજ અથવા રસી ઘણી વખત ઉપલબ્ધ નથી. 362 કરોડ અને 11 હજાર સ્કવેર મીટની જગ્યામાં આ લેબ આકાર પામશે. આ સુવિધામાં BSL-4 સાથે BSL-3 અને BSL-2 લેબોરેટરીઓ તેમજ અલગ ABSL યુનિટ હશે. અહીં હવાબંધ કન્ટેન્મેન્ટ ઝોન, નેગેટિવ એર પ્રેશર લેબ, HEPA ફિલ્ટરવાળી હવા વ્યવસ્થા, કેમિકલ શાવરથી શુદ્ધિકરણ, ગંદા પાણી માટે ખાસ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને બાયો કચરાના સલામત નિકાલની વ્યવસ્થા રહેશે. CDC, NIH, DBT અને ICMRના નિયમો મુજબ બનેલી આ લેબ સામાન્ય સંશોધન કેન્દ્રોથી વધુ સુરક્ષિત હશે. અન્ય કેન્દ્રોથી કેવી રીતે અલગ હશે લેબહાલમાં ભારતમાં પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) ખાતે માત્ર એક BSL-4 લેબ કાર્યરત છે. ગુજરાતની નવી સુવિધાથી દેશમાં બાયો-સુરક્ષા ક્ષમતા વધશે. માનવ અને પશુ આરોગ્ય બંનેના સંશોધનને એક જ સ્થળે જોડીને ‘વન હેલ્થ’ વિચારધારાને મજબૂતી મળશે. ભવિષ્યમાં શું બદલાવ આવશેલેબ શરૂ થયા બાદ રોગ ફેલાય ત્યારે ઝડપી તપાસ અને કાર્યવાહી શક્ય બનશે. ખતરનાક વાયરસ પર રાજ્યમાં જ સંશોધન થઈ શકશે અને રસી, તપાસ પદ્ધતિ અને સારવાર વિકસાવવામાં ઝડપ આવશે. જિનોમ ઇન્ડિયા મિશન અને INSACOG જેવી રાષ્ટ્રીય યોજનાઓ સાથે પણ સહકાર વધશે. લોકો અને રાજ્યને સીધો ફાયદો થશેલોકોને રોગોની વહેલી ઓળખ, ઝડપી નિયંત્રણ અને વધુ મજબૂત આરોગ્ય સુરક્ષા મળશે. રાજ્ય માટે ઉચ્ચ કુશળ નોકરીઓ ઊભી થશે, સંશોધનમાં રોકાણ વધશે અને ગુજરાત બાયોટેકનોલોજી તથા ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે વધુ મજબૂત બનશે.
કામગીરી:મહાપાલિકા કમિશનરના અહેવાલ પછી કાર્યવાહી
ચૂંટણી પ્રચાર દરમિયાન મતદારો પર પ્રભાવ પાડવા ઉમેદવાર અથવા રાજકીય નેતાઓ તરફથી કરવામાં આવતા ધાર્મિક, પ્રાંત, ભાષા બાબતના વક્તવ્ય આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન છે. જો કે આ બાબતે પંચ સમક્ષ કોઈએ ફરિયાદ કરી નથી. છતાં પંચે જાતે ધ્યાન આપીને મુંબઈ મહાપાલિકા કમિશનર પાસેથી અહેવાલ મગાવ્યાની માહિતી રાજ્ય ચૂંટણી કમિશનર દિનેશ વાઘમારેએ આપી હતી. રાજ્યની 29 મહાપાલિકાની ચૂંટણીના પ્રચારનાં દદુંભિ શમી ગયાં છે. મતદારોને પોતાના તરફ કરવા રાજકીય પક્ષો તરફથી આશ્વાસનોની ખૈરાત કરવામાં આવી છે. જાહેરનામાના માધ્યમથી મતદારોને વિવિધ આશ્વાસન આપતા પ્રચારમાં આ ચૂંટણીને ધાર્મિક, પ્રાંત, ભાષાના મુદ્દે વાળવાનો પ્રયત્ન બધા રાજકીય પક્ષોએ કર્યો. એમાંથી જ મુંબઈનો મેયર હિંદુ, મરાઠી, ગુજરાતી, ઉત્તર ભારતીય થશે એવો દાવો કરતા રાજકીય પક્ષોએ જે કે ભાષા, પ્રાંત, ધાર્મિક મતદારો પર પ્રભાવ પાડવાનો પ્રયત્ન કર્યો. આવા વક્તવ્યો આચારસંહિતાનો ભંગ જ છે. ચૂંટણી સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પાર પડે એ માટે ઉમેદવાર અને રાજકીય નેતાઓએ પ્રચારમાં ધાર્મિક, ભાષા, પ્રાંતના મુદ્દે વક્તવ્ય ટાળવા જોઈએ. જો કે ઉમેદવાર કે નેતાઓના વાંધાજનક વક્તવ્ય બાબતે કોઈએ ફરિયાદ કરી નથી. છતાં મુંબઈમાં કોઈએ આવા દ્વેષ ફેલાવતા વક્તવ્ય કર્યા છે કે નહીં એ બાબતે મહાપાલિકા કમિશનર પાસે અહેવાલ મગાવવામાં આવ્યો છે. આ અહેવાલ પછી જ પંચ આગળનો નિર્ણય લેશે એમ દિનેશ વાઘમારેએ જણાવ્યું હતું.
શિણાય ખાતે સિધ્ધનાથ સતવારા જ્ઞાતિનું સ્નેહમિલન યોજાયું:‘સમાજની એકતા થકી જ પ્રગતિના પંથે આગળ વધે’
સિધ્ધનાથ સતવારા જ્ઞાતિ મંડળ, ગાંધીધામ, પૂર્વ કચ્છનું છઠ્ઠું સ્નેહમિલન અને સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ખોડિયાર ધામ શિણાય ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નોકરી, ધંધાર્થે કચ્છ બહારથી આવેલા સતવારા (દલવાડી) સમાજના જ્ઞાતિજનો હાજર રહ્યાં હતા. સમાજના મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાઇ હતી. ભુજના પ્રમુખ હિરેનભાઈ રાઠોડે જણાવ્યું હતું કે સમાજમાં આવા સ્નેહમિલન જેવા કાર્યક્રમો થકી સમાજના લોકો એકબીજા સાથે જોડાયેલા રહે અને સમાજમાં એકતા જળવાઈ રહે છે. મુન્દ્રાથી ઉપસ્થિત રહેલ સમાજના સક્રિય કાર્યકર હિતેશભાઈ નકુમ તથા માજી ઉપપ્રમુખ પરેશભાઈ પરમાર દ્વારા સમાજના લોકો સંગઠિત થઈને રહે અને આવા કાર્યક્રમો થકી એકબીજા સાથે જોડાયેલા રહે, સમાજની એકતા થકી જ સમાજ આગળ વધે છે, સૌ એક થઈને રહીએ અને સાથે મળીને સમાજનો વિકાસ કરીએ તેમ જણાવ્યું હતું. સંગઠન મંત્રી મુકેશભાઈ પરમાર દ્વારા સ્નેહમિલન વિશે વિસ્તૃત જાણકારી સાથે સમાજ વિકાસ અને એકતાની સમજુતી આપી. અતિથી વિશેષ તરીકે આર.ટી. ઓ. ઇન્સ્પેક્ટર પ્રવીણભાઈ ચૌહાણ, પોલીસ વિભાગમાં ફરજ બજાવતા જનકભાઈ લકુમ તેમજ અન્ય મહાનુભાવો અને સમાજના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સમાજના બાલવાટિકાથી લઈને માસ્ટર ડિગ્રીમાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓને આમંત્રિત મહાનુભાવોના વરદ હસ્તે પ્રોત્સાહન સ્વરૂપે વિવિધ ભેટ આપવામાં આવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમમાં સમાજના નાનાં-નાનાં બાળકોએ અન્નનો મહિમા વિષય ઉપર વક્તવ્ય, ગીતાજીના શ્લોક, બાળગીતો તેમજ દેશભક્તિ ગીત પર નૃત્યની સુંદર કૃતિઓ રજુ કરી હતી. સમાજના પ્રતિભાશાળી બાળકો મનસ્વી ચૌહાણ, માલવિકા ચૌહાણ, આયુષી ચાવડા અને જિયાન ચાવડા, અનુજ હડિયલ તેમજ વિજય કણઝારીયા દ્વારા દેશભક્તિ વિષય પર અદભૂત નાટક રજૂ કરવામાં આવ્યું હતુ, જેને માણીને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. સ્નેહમિલનના આયોજનને સફળ બનાવવા સહભાગી થયેલ દાતાઓનું શિલ્ડ, બુકે અને શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. બાળકો અને મોટાઓ માટે વિશેષ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લોકો અને બાળકોએ મનભરીને માણી હતી. મધ્યાહને સૌ જ્ઞાતિજનોએ સાથે સ્વરુચિ પ્રીતિ ભોજન માણ્યું હતું. સમાજના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ સોનગરા, સંગઠન મંત્રી મુકેશભાઇ પરમાર, ઉપપ્રમુખ હેમંતભાઈ નકુમ, ખજાનચી જયેશભાઈ કણઝારીયા, પ્રવીણભાઈ ચૌહાણ, પ્રવીણભાઈ સોનગરા, ચંદ્રેશભાઈ બુમતારિયા, દેવરાજભાઈ કણઝારીયા, દિનેશભાઈ ડાભી તેમજ અન્ય કાર્યકર્તાઓ વગેરેએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આભારવિધિ ખીમજીભાઈ સોનગરા દ્વારા, સંચાલન રેખાબેન ચાવડા તેમજ અંકિતભાઈ કટેશિયા દ્વારા કરવામાં આવ્યું હતું.
પ્રચારનાં દદુંભિ શમી ગયાં:ઉમેદવારો ઘેર ઘેર જઈને મતદારો સામે રૂબરૂ હાજર થશે
મહારાષ્ટ્રમાં મુંબઈ મહાપાલિકા સહિત 29 મહાપાલિકાઓ માટે મતદાન 15 જાન્યુઆરીએ યોજાશે. ચૂંટણીમાં 15,000 થી વધુ ઉમેદવારો મેદાનમાં છે. એકલા મુંબઈ મહાપાલિકામાં કુલ 227 વોર્ડ છે, જ્યાં 1,700 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણીના પરિણામો 16 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે. દરમિયાન, મંગળવારે સાંજે 5.30 વાગ્યે ચૂંટણી પ્રચારનો અંત આવ્યો. ત્યાં સુધી અનેક સભાઓ, રેલીઓ, મિટિંગો, પગપાળા યાત્રા સહિત ઉમેદવારોએ પ્રચાર માટે કસર બાકી નહીં રાખી. આક્ષેપો- પ્રતિઆક્ષેપોથી પ્રચારનો ધમધમાટ વધુ ગરમાયો હતો. જોકે હવે પ્રચારનો અંત થતાં બુધવારે છેલ્લા દિવસે ઉમેદવારો ઘેર ઘેર જઈને ઉમેદવારો સાથે રૂબરૂ થવાનો પ્રયાસ કરશે. ખાસ કરીને આ વખતે પૈસા વહેંચવાના આરોપો પણ બેફામ થયા હતા. છેલ્લાં 25 વર્ષથી મુંબઈ મહાપાલિકામાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનું શાસન હતું. શિવસેનાના વિભાજન પહેલાં 1997થી 2022 સુધી શિવસેનાએ મહાપાલિકા પર રાજ કર્યું. જોકે આ વખતે રાજકીય સમીકરણ સાવ બદલાઈ ગયાં છે. ત્રણ વર્ષના પ્રશાસકીય રાજ પછી યોજાઈ રહેલી ચૂંટણીમાં આ વખતે ઠાકરે અને શિંદેની એમ બે શિવસેના માટે આ પ્રતિષ્ઠાનો અને અસ્તિત્વનો જંગ છે. ઠાકરેએ 20 વર્ષ પછી રાજ ઠાકરે સાથે હાથ મેળવીને મરાઠી મતદારો પર મોટો મદાર રાખ્યો છે. બીજી બાજુ શિંદે સેના અને ભાજપ તથા આરપીઆઈ આઠવલેની યુતિ છે. આથી આ દરેક માટે પ્રતિષ્ઠાની અને અસ્તિત્વની લડાઈ છે. એક નાના રાજ્ય કરતાં પણ મોટું બજેટ ધરાવતી મહાપાલિકાની તિજોરીની ચાવી આખરે કોના હાથમાં જશે તે તો 16 જાન્યુઆરીના જ ખબર પડશે. મુંબઈમાં 227 બેઠકોમાંથી, 32 બેઠકો પર ભાજપ- શિવસેના યુતિ અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ)- મહારાષ્ટ્ર નવનિર્માણ સેના આઘાડી વચ્ચે સીધી લડાઈ થશે. આ પરિસ્થિતિ એટલા માટે ઊભી થઈ છે કારણ કે કોંગ્રેસ- બહુજન વંચિત આઘાડી યુતિએ આ બેઠકો પર કોઈ ઉમેદવાર ઊભો રાખ્યો નથી.કોંગ્રેસે મુંબઈમાં ૧૪૩ ઉમેદવારો ઊભા રાખ્યા છે, જ્યારે વંચિત બહુજન આઘાડી ૪૬ બેઠકો પર ચૂંટણી લડશે અને છ બેઠકો ડાબેરી પક્ષો અને રાષ્ટ્રીય સમાજ પાર્ટી સહિત અન્ય સાથી પક્ષોને આપવામાં આવી છે.આનો અર્થ એ થયો કે કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુતિએ ૧૯૫ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા છે. આનાથી 32 બેઠકો ત્રીજા પક્ષના ઉમેદવારો વિના રહે છે, જેના પરિણામે મતોનું વિભાજન થશે નહીં. ચૂંટણી શા માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે?મહાપાલિકાની ચૂંટણીઓ ફક્ત મહાપાલિકા મેળવવા માટે નથી, પરંતુ મુંબઈ મહાપાલિકામાં સત્તા મેળવવાની લડાઈ છે. તેથી, આ મહાયુતિ અને મહાવિકાસ આઘાડી માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. ૭૪,૦૦૦ કરોડ રૂપિયાના બજેટ સાથે એશિયાની સૌથી મોટી નાગરિક સંસ્થા, ૧૯૯૭-૨૦૧૭ દરમિયાન અવિભાજિત શિવસેના દ્વારા શાસન કરાતી હતી, જ્યારે તે ભાજપની સાથી હતી. મુંબઈ મહાપાલિકાનું બજેટ ગોવા, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરાના બજેટ કરતાં પણ મોટું છે. આ કારણોસર ભાજપ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના, એકનાથ શિંદેની શિવસેના, કોંગ્રેસ, શરદ પવાર અને અજિત પવાર પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
નાશિક મહાપાલિકાની ચૂંટણીને ફક્ત બે દિવસ બાકી છે ત્યારે, ભાજપે શહેરના રાજકારણમાં એક મોટું પગલું ભર્યું છે જે ઇતિહાસમાં નોંધાશે. ભાજપે ભૂતપૂર્વ મેયર સહિત 54 પદાધિકારીઓ અને કાર્યકરોને સીધા જ પક્ષમાંથી હાંકી કાઢ્યા છે, જેમણે ઉમેદવારી ન મળતાં ભાજપના સત્તાવાર ઉમેદવારો સામે બળવો કર્યો હતો અને અપક્ષ કે અન્ય પક્ષોના પ્રતીકો પર ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણીની પૂર્વસંધ્યાએ કરવામાં આવેલી આ કડક કાર્યવાહીથી નાશિકમાં રાજકીય વાતાવરણ વધુ ગરમાયું છે, અને એ સ્પષ્ટ છે કે ભાજપ પક્ષની શિસ્ત સાથે કોઈ સમાધાન કરશે નહીં. ભાજપે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ પર કડક વલણ અપનાવીને આ કાર્યવાહી કરી છે, અને આ યાદીમાં 20 ભૂતપૂર્વ નગરસેવકોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, નાશિકના ભૂતપૂર્વ મેયર પણ આ યાદીમાં હોવાના કારણે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. ભાજપે સ્પષ્ટ કર્યું છે કે પક્ષના સત્તાવાર ઉમેદવારો સામે સીધી ચૂંટણી લડવી, અપક્ષ કે અન્ય પક્ષો તરફથી ઉમેદવારી સ્વીકારવી એ પક્ષ શિસ્તનો ગંભીર ભંગ છે. નાશિક ભાજપના ઇતિહાસમાં આ સૌથી મોટી હકાલપટ્ટી માનવામાં આવે છે, અને એવું કહેવાય છે કે આનાથી બળવાખોર જૂથને મોટો ફટકો પડ્યો છે. આ વર્ષે, ભાજપે નાશિક મહાપાલિકામાં સત્તા મેળવવા માટે '100+'નું સૂત્ર આપ્યું હતું. આ હેતુ માટે, ભાજપે અન્ય પક્ષોના પ્રભાવશાળી નેતાઓને મોટા પાયે પોતાના પક્ષમાં લીધા હતા. ઘણા ઉમેદવારોને ઉમેદવારીનું વચન આપવામાં આવ્યું હતું. ૧૨૨ નગરસેવક પદ માટે ૧,૦૭૭ ઉમેદવારોએ ઇન્ટરવ્યુ આપ્યા હતા. જોકે, ફક્ત ૧૨૨ ઉમેદવારીપત્રો ઉપલબ્ધ હોવાથી, દરેકને તક આપવી શક્ય નહોતી. આ પૃષ્ઠભૂમિમાં, મહાયુતિ થશે કે નહીં તે અંગે પણ ભારે મૂંઝવણ હતી, જેના કારણે ઘણા કાર્યકરો અને નેતાઓમાં ચિંતા વધી ગઈ હતી. શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ આખરે યુતિની જાહેરાત કર્યા પછી, ભાજપે નાશિકમાં એકલા ચૂંટણી લડવાનો નિર્ણય લીધો. ભાજપે 118 ઉમેદવારોની યાદી જાહેર કરી, પરંતુ પછી એબી ફોર્મના વિતરણમાં મોટી ગડબડ થઈ. કેટલાક ઉમેદવારોની અરજીઓ નકારી કાઢવામાં આવી, જ્યારે અન્યને છેલ્લી ઘડીએ ઉમેદવારી આપવામાં આવી નહીં. આનાથી અસંતોષ વધુ તીવ્ર બન્યો. ભાજપ દ્વારા અન્ય પક્ષોના 33 ઉમેદવારોની ઉમેદવારીથી જૂના અને વફાદાર કાર્યકરોમાં અસંતોષ ફેલાયો અને બળવાની ચિનગારી સળગી ગઈ. શહેર પ્રમુખને ગાજર ખવડાવી વિરોધઆ બળવો એટલો બધો વધી ગયો કે વોર્ડ નંબર ૧૩ ના જૂના ભાજપ પદાધિકારીઓએ સીધા પાર્ટી કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કર્યું. શહેર પ્રમુખ સુનીલ કેદારને ઘેરીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો અને તેમને ગાજર ખવડાવીને ગુસ્સો વ્યક્ત કરવામાં આવ્યો. આ ઘટનાથી ભાજપને ભારે શરમજનક સ્થિતિમાં મુકાયો. ત્યાર બાદ, પાર્ટીએ બળવાખોરોને રોકવા માટે સમાધાનના ઘણા પ્રયાસો કર્યા, ચર્ચાઓ કરી અને નારાજ લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો. જોકે, ઘણા બળવાખોરો હજુ પણ પાછા હટવા તૈયાર ન હોવાથી, ભાજપે આખરે કડક પગલાં લીધા અને તેમને હાંકી કાઢવાની કાર્યવાહી કરી.
નિર્ણય:મહાપાલિકા ચૂંટણીમાં મતદાનનો સમય એક કલાક ઘટાડવામાં આવ્યો
મુંબઈ મહાપાલિકાની ચૂંટણી માટે 15 જાન્યુઆરીના મતદાન થશે. મતદાનનો સમય વિધાનસભા ચૂંટણીની સરખામણીએ એક કલાક ઘટાડવામાં આવ્યો છે. તેથી આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવે છે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટે 15 જાન્યુઆરીના મતદાન થવાનું છે. મતદાન માટે સવારના 7.30 થી સાંજે 5.30 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. જો કે વિધાનસભા ચૂંટણી માટે સવારના 7 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો. વિધાનસભા ચૂંટણીની સરખામણીએ મતદાનનો સમય એક કલાક ઓછો કરવામાં આવ્યો છે. આ બાબતે કર્મચારીઓમાં પણ દ્વિધા છે. જો કે ચૂંટણી પંચના આદેશ અનુસાર આ સમય ઓછો કરવામાં આવ્યાની માહિતી મહાપાલિકા અધિકારીએ આપી હતી. વિધાનસભા ચૂંટણીની સરખામણીએ મતદાન કેન્દ્રની સંખ્યા વધારવામાં આવી છે અને કેન્દ્રમાં મતદારોની સંખ્યા ઓછી કરવામાં આવી છે. તેથી સમય ઓછો ઘટાડવામાં આવ્યાનું રાજ્ય ચૂંટણી પંચના અધિકારીએ જણાવ્યું હતું. તેમ જ અત્યારે શિયાળો હોવાથી અંધારુ ઝટ થતું હોવાથી સાંજે 5.30 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યાનું તેણે સ્પષ્ટ કર્યું હતું. મુંબઈ મહાપાલિકાની ચૂંટણી માટે બે ઠેકાણે નામ હોય એવા 1 લાખ 68 હજાર મતદાર છે. એમાંથી 48 હજાર મતદારોએ પોતે કયા પ્રભાગમાં મતદાન કરશે એ બાબતનો ખાતરીપત્ર આપ્યો છે. 1 લાખ 20 હજાર મતદારોએ મતદાન કરવા પહેલાં ખાતરીપત્ર આપવો પડશે. તેથી મતદાનમાં કેટલાક ઠેકાણે વિલંબ અથવા વિવાદ થવાની શક્યતા છે. રાજ્ય ચૂંટણી પંચે આપેલી યાદીમાં બે વખત નામ હોય એવા 11 લાખ 1 હજાર 508 મતદાર હતા. મતદાર યાદીમાં સરખા નામ ધરાવતા મતદારોને બાકાત કરવામાં આવ્યા. હવે ખરેખર બે ઠેકાણે નામ હોય એવી એક જ વ્યક્તિ પ્રમાણ કુલ 1 લાખ 68 હજાર 350 મતદાર છે એમ અધિકારીએ જણાવ્યું હતું. આ પહેલાં આવા મતદારોના નામ સામે ચિહ્ન કરવામાં આવ્યું હતું. જો કે તપાસ પછી 9 લાખ 33 હજાર 157 મતદારોના નામ સરખા હોવાનું જણાયું. તેથી આ મતદારોને બે ઠેકાણાવાળા મતદારની યાદીમાંથી બાકાત કરવામાં આવ્યા. એ પછી બે ઠેકાણે નામ હોય એવા મતદારોની તપાસ કરવા મુંબઈ મહાપાલિકાએ કોમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમ વિકસિત કરી હતી. એની મદદથી આ કામ થોડા દિવસમાં પૂરું કરવામાં આવ્યું. ચૂંટણીના કામ કાર્યરત મહાપાલિકા કર્મચારીઓએ 1 લાખ 26 હજાર 616 ઘરની જાતે મુલાકાત કરીને તપાસ કરી. એમાંથી 48 હજાર 328 મતદારોએ ફોર્મ એ ભરી આપ્યું. આ ફોર્મમાં કયા વોર્ડમાં રહીને મતદાન કરવું છે એની માહિતી આપી. જો કે 1 લાખ 20 હજાર મતદારોએ આવો ખાતરીપત્ર ભર્યો નથી. તેથી આ મતદારોના ઓછામાં ઓછા બે ઓળખપત્ર તપાસીને તેમની પાસેથી ખાતરીપત્ર ભરાવી પછી જ તેમને મતદાન કરવા દેવાશે એવી માહિતી મહાપાલિકા અધિકારીએ આપી હતી. ચૂંટણી માટે બે ઠેકાણે નામ હોય એવા 1 લાખ 68 હજાર મતદાર છે. એમાંથી 48 હજાર મતદારોએ પોતે કયા પ્રભાગમાં મતદાન કરશે એ બાબતનો ખાતરીપત્ર આપ્યો છે. 1 લાખ 20 હજાર મતદારોએ મતદાન કરવા પહેલાં ખાતરીપત્ર આપવો પડશે. તેથી મતદાનમાં કેટલાક ઠેકાણે વિલંબ અથવા વિવાદ થવાની શક્યતા છે. રાજ્ય ચૂંટણી પંચે આપેલી યાદીમાં બે વખત નામ હોય એવા 11 લાખ 1 હજાર 508 મતદાર હતા. મતદાર યાદીમાં સરખા નામ ધરાવતા મતદારોને બાકાત કરવામાં આવ્યા. હવે ખરેખર બે ઠેકાણે નામ હોય એવી એક જ વ્યક્તિ પ્રમાણ કુલ 1 લાખ 68 હજાર 350 મતદાર છે એમ અધિકારીએ જણાવ્યું હતું. આ પહેલાં આવા મતદારોના નામ સામે ચિહ્ન કરવામાં આવ્યું હતું. જો કે તપાસ પછી 9 લાખ 33 હજાર 157 મતદારોના નામ સરખા હોવાનું જણાયું. તેથી આ મતદારોને બે ઠેકાણાવાળા મતદારની યાદીમાંથી બાકાત કરવામાં આવ્યા. એ પછી બે ઠેકાણે નામ હોય એવા મતદારોની તપાસ કરવા મુંબઈ મહાપાલિકાએ કોમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમ વિકસિત કરી હતી. એની મદદથી આ કામ થોડા દિવસમાં પૂરું કરવામાં આવ્યું. ચૂંટણીના કામ કાર્યરત મહાપાલિકા કર્મચારીઓએ 1 લાખ 26 હજાર 616 ઘરની જાતે મુલાકાત કરીને તપાસ કરી. એમાંથી 48 હજાર 328 મતદારોએ ફોર્મ એ ભરી આપ્યું. આ ફોર્મમાં કયા વોર્ડમાં રહીને મતદાન કરવું છે એની માહિતી આપી. જો કે 1 લાખ 20 હજાર મતદારોએ આવો ખાતરીપત્ર ભર્યો નથી. તેથી આ મતદારોના ઓછામાં ઓછા બે ઓળખપત્ર તપાસીને તેમની પાસેથી ખાતરીપત્ર ભરાવી પછી જ તેમને મતદાન કરવા દેવાશે એવી માહિતી મહાપાલિકા અધિકારીએ આપી હતી.
સિટી એન્કર:ટાટા મુંબઈ મેરેથોન 2026માં નવો વિક્રમ નોંધાવવાની રનર્સને તક
બે દાયકાથી વધુ સમયથી સતત આયોજિત થતી ટાટા મુંબઈ મેરેથોન આ વખતે 21મી વર્ષમાં પ્રવેશ કરી રહી છે. વૈશ્વિક સ્તરે માન્યતા મેળવેલી આ સ્પર્ધા 18 જાન્યુઆરીના યોજાવાની હોઈ આ વખતે પુરુષ અને મહિલા જૂથોમાં અત્યંત દરજ્જેદાર રનર્સે ભાગ લીધો છે. આ વખતે સહભાગી થનારાં આઠ પુરુષ અને છ મહિલા રનર્સનો વ્યક્તિગત સર્વોત્તમ સમય આ વખતની સ્પર્ધાના વિક્રમ કરતાં ઝડપી છે. આથી આ વખતે નવા વિક્રમ પ્રસ્થાપિત થવાની પૂરી શક્યતા છે. પુરુષ અને મહિલા જૂથમાં વર્તમાન સ્પર્ધાનો વિક્રમ ઈથિયોપિયાના હાયલે લેમી બેરહાનૂ અને એંકિઆલેમ હાયમેનોટને નામે છે. ટાટા મુંબઈ મેરેથોન વર્લ્ડ એથ્લેટિક્સ ગોલ્ડ લેબલ રોડ રેસ છે. બંને જૂથના પ્રથમ ત્રણ વિજેતાઓને અનુક્રમે 50 હજાર, 25 હજાર અને 15 હજાર અમેરિકન ડોલર્સનાં ઈનામ અપાશે. સ્પર્ધાનો વિક્રમ તોડનારને વધારાના 15,000 ડોલર પ્રાપ્ત થશે. પુરુષ જૂથમાં એરિટ્રિયાનો મેરહાવી કેસેતે મુખ્ય દાવેદાર હોઈ યુગાંડાનો વિશ્વવિજેતા વિકટર કિપલાંગાટ, દક્ષિણ આફ્રિકાનો સ્ટીફન મોકાકા અને ઈથિયોપિયાના બાજેઝેવ અસ્મારે અને તાડૂ અબાતે ડેમે અવ્વલ સ્થાન માટે સ્પર્ધામાં ઊતર્યા છે. મહિલામાં ગત ત્રણ વર્ષથી ત્રીજું સ્થાન મેળવનારી મિડિના ડેમે આર્મિનો આ વખતે ઉત્તમ કામગીરી કરવાની તૈયારીમાં છે. તેના સહિત ઝિનાહ સેનબેટા, યેશી ચેકોલે અને શ્યુરે ડેમિસે જેવી રનર્સને લીધે સ્પર્ધા વધુ રસાકસીભરી બની રહેશે. દેશવિદેશમાં સફળતાથી મેરેથોનનું આયોજન કરનારી પ્રોકેમ ઈન્ટરનેશનલના જોઈન્ટ એમડી વિવેક સિંહે જણાવ્યું કે આ વખતે ટાટા મુંબઈ મેરેથોનમાં ભાગ લેનારા રનર્સનો દરજ્જો જોતાં આ સ્પર્ધા વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનેલી દેખાય છે. 135 રનર્સ દોડીને જન્મદિવસ ઊજવશે18 જાન્યુઆરીએ ટાટા મુંબઈ મેરેથોન 2026માં 69,000થી વધુ રનર્સ ભાગ લેશે. તેમાંથી 135 રનર્સનો આ જ દિવસે જન્મદિવસ છે. આમાં 93 પુરુષ અને 42 મહિલા છે. કેક કાપવાને બદલે તેમણે પ્રેક્ટિસ અને આરોગ્યનો સંદેશ આપીને દોડવાનો નિર્ણય લીધો છે. 15 વર્ષથી વધુ સમય મેરેથોન દોડનારા 22 રનર્સ છે. 6 રનર 15 વર્ષ, 10 રનર 16 વર્ષ 2 રનર 17 વર્ષ, 4 રનર 19 વર્ષના છે, જેમાં મુકેશ સિંહ, રાકેશ ટાગોર, ખેમરાજ વર્શનેય અને મધુર કોથરાયનો સમાવેશ થાય છે. આ વખતે 2201 સામાજિક સંસ્થાઓ વિવિધ રેસમાં ભાગ લેશે
કાર્યવાહી:ગુજરાતીએ લીધેલી 80 લાખની લોન માટે માતાનું અપહરણઃ 1 ની ધરપકડ
જુહુમાં એક ગુજરાતી રૂ. 80 લાખનું દેવું પરતફેડ કરવામાં નિષ્ફળ જતાં તેની વૃદ્ધ માતાનું બે નાણાં ધિરાણદારે અપહરણ કર્યું હતું અને દેવું લીધું હોવાના દસ્તાવેજો પર સહી લીધી હતી. આ ઘટના ગયા મહિને બનવા છતાં પોલીસે સોમવારે એકની ધરપકડ કરી હતી, જ્યારે તેના સાગરીતની શોધ ચાલુ છે. પોલીસ અનુસાર પિનાકિની ભણસાલીનો આરોપ છે કે તેના પુત્ર મોનિલે ઝફર કુરેશી સહિત વિવિધ લોકો પાસેથી 30 ટકા વ્યાજ દરે લોન લીધી હતી અને રૂ. 3 કરોડના દાગીના ગિરવે મૂક્યા હતા. રૂ. 80 લાખની પરતફેડ કરવા છતાં કુરેશીએ વસૂલી માટે ધાકધમકી આપવાનું ચાલુ રાખ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચના યુનિટ-10 દ્વારા સોમવારે કુરેશીના સાગરીત અલ્ફાઝ ફિરોઝ કાસમની ધરપકડ કરી હતી, જ્યારે કુરેશી નાસતો ફરે છે. ગયા મહિને એક અવસરે પિનાકિનીને કુરેશી અને તેના બે સાગરીતોએ સાંતાક્રુઝ વેસ્ટમાં બળજબરીથી એક કારમાં બેસાડી હતી અને નિર્જન સ્થળે લઈ જવાઈ હતી, જ્યાં તેને ધાકધમકી અપાઈ હતી અને સ્ટેમ્પપેપર પર સહી અને અંગૂઠાનું નિશાન લેવાયાં હતાં, જેમાં રૂ. 80 લાખનું દેવું લીધું છે એવું લખાણ હતું.જો આ રકમ નહીં ચૂકવાય તો તેના પુત્રને જોખમ ઊભું થશે એવી ધમકી આપી હોવાનો અને દસ્તાવેજ પર સહી કરતી વખતે વિડિયો ઉતારી લીધો હોવાનો આરોપ છે. જો આ વિશે કોઈને કહેશે તો જીવલેણ પરિણામની ધમકી આપી હતી. આ પછી જવા દીધી, પરંતુ વારંવાર કોલ કરીને ધમકી આપતો હતો. આ પછી મહિલાએ પતિને જાણ કરીને એફઆઈઆર નોંધાવી હતી. પોલીસે કુરેશી અને કાસમના ઘરની તલાશી લેતાં કુરેશી અને અન્ય ઘણા બધા લોકો વચ્ચે અનેક મૂળ લોન કરાર, વાહન વેચાણ કરાર અને મોટા રોકડ વ્યવહારના દસ્તાવેજો મળી આવ્યા હતા. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
યુદ્ધ કે કુદરતી આપદા જેવી પરિસ્થિતિમાં સશસ્ત્ર દળો અને જિલ્લા વહીવટી તંત્ર વચ્ચે અસરકારક સંકલન સુનિશ્ચિત થાય તે ઉદ્દેશ્ય સાથે ભુજમાં રાષ્ટ્રના સૌપ્રથમ વખત ‘ સંયુક્ત પ્રશિક્ષણ’ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. ‘ઓપરેશન સિંદૂર’ બાદ સમગ્ર દેશમાં આ પ્રકારનું પ્રથમ આયોજન ભુજ ખાતે થવું એ કચ્છ માટે ગૌરવની બાબત છે. આ કાર્યક્રમના ભાગરૂપે કચ્છના કલેક્ટર આનંદ પટેલ દ્વારા દેશભરમાંથી આવેલા સંરક્ષણ અને જાહેર સેવાના 30થી વધુ અધિકારીઓને કલેક્ટર કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં અધિકારીઓને કચ્છના ભૂગોળ, રણ અને દરિયાઈ સરહદ, સરહદી ગામોની સ્થિતિ, સામાજિક-આર્થિક પરિસ્થિતિ તેમજ કુદરતી પડકારોની માહિતી આપવામાં આવી હતી. ઓપરેશન સિંદૂર દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર અને સશસ્ત્ર દળો વચ્ચેના ઉત્કૃષ્ટ સંકલન તથા કચ્છના નાગરિકોના સહયોગની પ્રશંસા કરાઇ હતી. સયુક્ત પ્રશિક્ષણ દરમિયાન વ્યાખ્યાન , ટેબલટોપ એક્સરસાઇઝ અને ફિલ્ડ વિઝિટ દ્વારા નાગરિક અને લશ્કરી ક્ષેત્રોનું એકીકરણ અંગે વિશે અધિકારીઓ અવગત થઈ શકશે, ભુજ ખાતે આયોજિત બેઠકમાં કલેક્ટર આનંદ પટેલ, ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, તાલીમી સનદી અધિકારી એમ.ધરિણી, ગ્રૂપ કેપ્ટન આર.કે.યાદવ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, નિવાસી અધિક કલેક્ટર ડી.પી.ચૌહાણ, સિવિલ ડીફેન્સના નાયબ નિયંત્રક આર.કે.પ્રજાપતિ, જિલ્લા આયોજન અધિકારી જે.સી.રાવલ સહિત ભારતભરમાંથી આવેલા ઈન્ડિયન આર્મી, નેવી, એરફોર્સ, કોસ્ટગાર્ડ તેમજ ડીફેન્સના વિવિધ યુનિટના ઉચ્ચ અધિકારીઓ અને સિવિલ સર્વિસિસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુંબઈ મહાપાલિકા વોર્ડ 225:વિપક્ષના આરોપો પાયાવિહોણા : હર્ષિતા નાર્વેકર
મુંબઈ મહાપાલિકાની ચૂંટણી અંતિમ તબક્કામાં પહોંચતા જ રાજકીય ગરમાવો વધ્યો છે. પ્રચારનો સમય પુરો થતા હવે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ થયો છે. તળ મુંબઈના વોર્ડ નંબર 225માં કુલ 11 ઉમેદવારો મેદાનમાં છે, અહી ભાજપ અને શિવસેના યુબીટીના ઉમેદવારો વચ્ચે મુખ્ય મુકાલબો છે, પરંતુ અહી મહાયુતિના સાથીદાર -શિવસેના શિંદેના ઉમેદવાર પણ મેદાનમા છે. આ મામલે કોલાબાના વોર્ડ નંબર 225ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષિતા નાર્વેકરે વિપક્ષ પર તીવ્ર પ્રહાર કરતા કહ્યું છે કે, તેમની સામે લગાવવામાં આવતા આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે. “વિપક્ષ પાસે મતદારો સમક્ષ રજૂ કરવા માટે કોઈ નક્કર મુદ્દા નથી, તેથી ખોટા આરોપોનો સહારો લેવામાં આવી રહ્યો છે. પરંતુ કિલ્લા–કોલાબાના નાગરિકો આ જુઠ્ઠાણામાં ફસાશે નહીં, એવો આત્મવિશ્વાસ નાર્વેકરે વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે વિકાસના કામોના આધારે લોકો ભાજપને સંપૂર્ણ સમર્થન આપશે. પ્રચાર દરમિયાન મળતો અભૂતપૂર્વ પ્રતિસાદ જોઈને વિપક્ષ ગભરાઈ ગયો છે, અને હાર સ્પષ્ટ દેખાતી હોવાથી તેઓ ઘમંડી નિવેદનો કરી રહ્યા છે, એવો આરોપ પણ તેમણે મૂક્યો. કિલ્લા–કોલાબાનો વિકાસ નાર્વેકરનો એજન્ડા: હર્ષિતા નાર્વેકરે ફોર્ટ અને કોલાબા વિસ્તારના મૂળ પ્રશ્નો પર ભાર મૂક્યો છે. જૂની ઇમારતોના પુનર્વિકાસ, સ્વચ્છ અને પૂરતો પાણી પુરવઠો, કચરાની સમસ્યાનું નિરાકરણ અને પાર્કિંગની વ્યવસ્થા તેમના મુખ્ય મુદ્દા છે. સાથે જ પોલીસ કર્મચારીઓ અને મહાનગરપાલિકાના કર્મચારીઓ માટે સસ્તા અને સુવિધાસભર ઘરો, તેમજ સરકારી હોસ્પિટલના કર્મચારીઓના બાળકોને નોકરીની તક મળે તે દિશામાં પણ પ્રયાસો શરૂ કરાયા હોવાનું તેમણે જણાવ્યું. શિવસેનામાં આંતરિક નારાજગી?: શિંદે જૂથના ઉમેદવાર સુજાતા સનપની ઉમેદવારીને લઈને સ્થાનિક શિવસૈનિકોમાં અંદરખાને નારાજગી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભાજપનો ગઢ અને ‘કેડર વોટ’ફોર્ટ–કોલાબા વિસ્તાર ભાજપનો પરંપરાગત ગઢ માનવામાં આવે છે. શિવસેનાના મતો બે જૂથોમાં વહેંચાતા હોવાનો લાભ ભાજપને મળી શકે છે. મજબૂત સંગઠન, બૂથ લેવલ કાર્યકરો અને છેલ્લા પાંચ વર્ષનું ‘રિપોર્ટ કાર્ડ’ નાર્વેકરની જીત માટે મહત્વનું પરિબળ બની રહ્યું છે, એવો રાજકીય વિશ્લેષકોનો મત છે.
આયોજન:અંધેરી ખાતેની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા લોકશાહીને સશક્ત બનાવવાનો સંદેશ
મુંબઈ મહાપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શ્રી નાગરદાસ ધારસી ભુતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અંધેરી સ્થિત શ્રી નાગરદાસ ધારસી ભુતા હાઈ સ્કૂલમાં 12 જાન્યુઆરીના રોજ મતદાર જાગૃતિ રેલીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જયશ્રી ધાયગુડે (સહાયક શિક્ષણ નિરીક્ષક, મુંબઈ તથા સ્વીપ કાર્યક્રમના સહાયક – ઉત્તર વિભાગ) ઉપસ્થિત રહ્યાં હતાં. આ સાથે સંસ્થાના ટ્રસ્ટી શુભેંદુ ભુતા અને તેજશ્રી ભુતાની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ રહી હતી.મહાપાલિકા અંધેરી પૂર્વના સંદીપ વારે અને કિશોર પાટીલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. અંધેરી (પૂર્વ) પોલીસ અને ટ્રાફિક વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓની પણ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમ દરમિયાન તમામ અતિથિઓનું પરંપરાગત રીતસર સ્વાગત કરવામાં આવ્યું.અંધેરી મહાપાલિકા તરફથી વિદ્યાર્થીઓના માધ્યમથી નાગરિકોને મતદાન માટે પ્રેરિત કરવા માટે એક અસરકારક પથનાટ્ય રજૂ કરવામાં આવ્યું. ત્યાર બાદ વિદ્યાર્થીઓ દ્વારા મતદાર શપથ લેવડાવવામાં આવી, જેના દ્વારા નાગરિકોને કોઈ પણ લાલચ વિના નિષ્પક્ષ રીતે મતદાન પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રેરણા આપવામાં આવી. આ અવસરે જયશ્રી ધાયગુડેએ વિદ્યાર્થીઓને તેમના માતા-પિતાને મતદાન માટે પ્રોત્સાહિત કરવા માટે એક સુંદર કવિતાનું પાઠન કરી પ્રેરણા આપી. ટ્રસ્ટી શુભેંદુજી ભુતાએ કહ્યું, “મતદાન લોકશાહીની સૌથી મોટી શક્તિ છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો દરેક નાગરિકનું નૈતિક કર્તવ્ય છે.” ઉપસ્થિત તમામ ગણમાન્ય અતિથિઓ દ્વારા લીલી ઝંડી બતાવીને મતદાર જાગૃતિ રેલીનું શુભારંભ કરવામાં આવ્યું. ધોરણ 7થી 9ના વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ અને પ્રેરણાદાયક રીતે રેલી કાઢી .આ રેલી શાળાના પરિસરથી શરૂ થઈ અંધેરી પૂર્વના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ ફરીથી શાળામાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ.વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર, પોસ્ટરો અને સંદેશાઓ દ્વારા નાગરિકોને નિર્ભયતાપૂર્વક વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી.
ધોળાવીરામાં ગાઈડ તરીકે કામ કરતા ગામના 20 યુવાનોને નોકરીથી વંચિત રખાતા પ્રાંત અધિકારીને રજૂઆત કરાઈ છે. ધોળાવીરા ટુર ગાઈડ એસોસિએશન દ્વારા ભચાઉ પ્રાંત અધિકારીને કરાયેલી રજૂઆત મુજબ, સરકાર દ્વારા ધોળાવીરાને ડેવલોપ કરવામાં આવે છે અહીં આવતા પ્રવાસીઓને માહિતગાર કરવા ગામના યુવાનો ટુર ગાઈડ તરીકે જોડાયા છે.જોકે સ્થાનિક લોકોને રોજગારી ન મળે તેવા પ્રયાસો થઈ રહ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. એક તરફ સરકાર દ્વારા ધોળાવીરા હડપ્પન સંસ્કૃતિના વિકાસ માટે કરોડોનો ખર્ચ કરવામાં આવે છે બીજી તરફ અહીં આવતા પ્રવાસીઓને માહિતગાર કરવા માટે જોડાયેલા યુવાનોને રોજગારીથી વંચિત રખાયા છે.ટુર ગાઈડના સર્ટિફિકેટ હોવા છતાં રોજગારી અપાતી નથી.16 બેરોજગાર યુવાનો દ્વારા રોજગારી મળે તેવી માંગ કરાઈ છે.જો 10 દિવસમાં યોગ્ય જવાબ નહીં આવે તો 22 જાન્યુઆરીથી બેરોજગાર યુવાનો પરિવાર સાથે પ્રાંત કચેરી સામે ધરણા પર બેસી જશે. આ મુદ્દે અરજદારો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વિવિધ તંત્રમાં રજૂઆત કરાઇ છે. અધિકારીઓના અહમના કારણે કનડગતધોળાવીરા હડપ્પન સાઈડમાં સ્થાનિકોને રોજગારી આપવામાં આવે તેવી માંગ સાથે ભચાઉ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઈ છે. અધિકારીઓની અણસમજ અને અહમભાવના કારણે સ્થાનિકોને કનડગત કરાતા સરકારની પ્રવાસન વિકાસ યોજનાનો હેતુ પણ નિરર્થક બની રહ્યો છે. ગામમાં અન્ય કામોમાં સ્થાનિકોને નોકરી મળે તેવી પણ માંગ કરાઈ છે. જમીનનું વળતર પણ ન મળ્યાનો આક્ષેપધોળાવીરા ગામના ગણપતભાઈ કાનજીભાઈ મકવાણાએ ભચાઉ પ્રાંત અધિકારીને કરેલી રજૂઆત મુજબ, તેઓએ ગુજરાત પ્રવાસનની તાલીમ લીધી હતી અને ટુરિઝમ ગાઈડ તરીકે ધોળાવીરામાં કામ કરી રહ્યા હતા તેમની પાસે લાયસન્સ હોવા છતાં હડપ્પન સાઈડના ઇન્ચાર્જ દ્વારા તેઓને મનાઈ કરાઈ છે.આરકિયોલોજી વિભાગ દ્વારા લાગતા વળગતાને ગાઈડની પરવાનગી અપાય છે જેની પાસે લાયસન્સ કે ડોક્યુમેન્ટ નથી તેઓને પણ પરવાનગી મળી જાય છે પણ અરજદાર પાસે લાયસન્સ હોવા છતાં તેઓની રોજગારીથી વંચિત રખાયા છે.ધોળાવીરા હડપ્પન સાઈડમાં અરજદારની 25 એકર જમીન કેન્દ્ર સરકારે 2013-14માં એકવાયર કરી છે છતાં હજી સુધી વળતર અપાયું નથી. ધોળાવીરામાં કોન્ટ્રાક્ટ બેઝમાં બહારના કર્મચારીઓને રાખવામાં આવે છે જેના કારણે સ્થાનિકોની રોજગારી છીનવાઈ છે ત્યારે સ્થાનિકોને ન્યાય મળવો જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.
ચૂંટણી વધુ રસપ્રદ બની:વોર્ડ નં. 55માં ભાજપ-કોંગ્રેસના ગુજરાતી ઉમેદવારો વચ્ચે ટક્કર
મુંબઈ મહાપાલિકાની આગામી 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈને શહેરભરમાં પ્રચારની મર્યાદા મંગળવારે સાંજે પૂર્ણ થઈ ગઈ છે. હવે આગામી 24 કલાકમાં મતદારો પોતાનો પ્રતિનિધિ પસંદ કરવા માટે મન બનાવી ચૂક્યા છે. તેમ છતાં અનેક વોર્ડમાં હજુ પણ કાંટાની ટક્કર જોવા મળી રહી છે. આવી જ એક રસપ્રદ લડત ગોરેગાવના વોર્ડ નંબર 55માં સામે આવી છે, જ્યાં કુલ 6 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. પરંતુ મુખ્ય મુકાબલો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના બે ગુજરાતી ઉમેદવારો વચ્ચે જ માનવામાં આવી રહ્યો છે. આ વોર્ડમાં ગુજરાતી- કચ્છી- મારવાડી સહિતના મતદારોની સંખ્યા નોધપાત્ર છે. વોર્ડ 55માં છેલ્લા લગભગ 20 વર્ષથી સાઈબાબા કોમ્પ્લેક્સ નજીકનો ગાર્ડન પ્લોટ ઉજ્જડ હાલતમાં હતો. સમય જતાં તે સ્થળ દારૂડિયા અને ચરસી જેવા અસામાજિક તત્વો માટે અડ્ડો બની ગયું હતું, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને અવરજવર કરનાર લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. સામાન્ય રીતે આવી સમસ્યાઓ ઉકેલવાની જવાબદારી ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર રહેતી હોય છે, પરંતુ કોંગ્રેસના ઉમેદવાર ચેતન ભટ્ટે નાગરિક તરીકે આ મુદ્દે પહેલ કરી. ચેતન ભટ્ટે સ્થાનિક રહેવાસીઓને સાથે લઈને વર્ષ 2021થી મહાપાલિકા સામે ધરણાં અને મોરચાઓ કર્યા, જેથી તંત્રની આંખ ખુલ્લી અને અંતે આ અસામાજિક અડ્ડાનો ઉકેલ આવ્યો. છેલ્લા બે દાયકાથી જનહિતના પ્રશ્નો માટે સતત પ્રયાસો કરતા હોવાથી ચેતન ભટ્ટે સ્થાનિક નાગરિકોમાં આગવું સ્થાન બનાવ્યું છે. તેમણે 1983માં ગોરેગાવ ફ્રેન્ડ્સ ક્લબની સ્થાપના કરીને નાગરિક સમસ્યાઓ ઉકેલવાની દિશામાં કામ શરૂ કર્યું હતું. આ લાંબી સામાજિક કામગીરીના કારણે આજે તેઓ લોકચાહના ધરાવતા ઉમેદવાર તરીકે સામે આવ્યા છે, જેના કારણે વોર્ડ 55ની ચૂંટણી વધુ રસપ્રદ બની છે.
હુકમ:પિતા-દાદા ખેતી ધરાવતા હોવા છતાં બે પુત્રએ ખાતેદારનો દરજ્જો ગુમાવ્યો
ખેડૂત ખાતેદારનો દરજ્જો મેળવવા માટે અનેક ત્રાગા રચી કોઈપણ ભોગે ખેતીની જમીન ખરીદનાર વર્ગ બહુ મોટો છે ત્યારે મિલીભગતથી ખેડૂત ખાતેદાર બની જવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં પણ આવા જ એક કિસ્સામાં 63 વર્ષથી એટલે કે, બાપદાદાના સમયથી ખેતીની જમીન ધરાવતા બે ભાઈઓએ પોતાની વડીલોપાર્જિત ખેતીની જમીન વેચી નાખ્યા બાદ ખેડૂત ખાતેદાર હોવાનું પ્રમાણપત્ર મેળવવા જતા પ્રાંત અધિકારીની ખરાઈમાં બન્ને ભાઈઓ પ્રમોલગેશનથી ખેડૂત ન હોવાનું સામે આવતા અરજી ફાઈલ કરી દેતા પ્રાંત અધિકારી ગ્રામ્યના નિર્ણય સામે કલેક્ટર સમક્ષ અપીલ કરતા જિલ્લા કલેક્ટરે ખાતેદાર પ્રમાણપત્ર માટે પ્રમોલગેશનથી ખેડૂતનો દરજ્જો જરૂરી હોવાનું નોંધી અપીલ ફગાવી દઈ પ્રાંત અધિકારીનો ચુકાદો યથાવત્ રાખવા હુકમ કર્યો હતો. ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર માટેના આ કેસની વિગત જોઈએ તો લોધિકા તાલુકાના છાપરા ગામે રહેતા અને કોઠા પીપળિયા ગામે ખેતીની જમીન ધરાવતા પ્રવીણભાઈ કાનજીભાઈ પંચાસરા અને નરેન્દ્રભાઈ કાનજીભાઈ પંચાસરાએ વર્ષ 2023માં જમીન વેચાણ કરી હોવાથી ખેડૂત ખાતેદાર રહેતા ન હોવાથી ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર મેળવવા અરજી કરતા પ્રાંત અધિકારી દ્વારા ખરાઈ કરવામાં આવતા અરજદારોના દાદા હરજીવન માધવજી પંચાસરાએ જામનગર જિલ્લાના હાડાટોડા ગામે 1960માં એટલે કે, પ્રમોલગેશન પહેલાં વેચાણથી જમીન ખરીદી હોવાનું સામે આવતા ખેડૂત ખાતેદારની અરજી ફાઈલ કરી દીધી હતી. જેની સામે અરજદારોએ જિલ્લા કલેક્ટર સમક્ષ અપીલ કરી હતી. અપીલ દરમિયાન અરજદારો 63 વર્ષથી ખેતીની જમીન ધરાવતા હોવાના પુરાવા રજૂ કરવાની સાથે તેમના દાદા ખેતમજૂર હોવાના નાતે હાડાટોડા ગામે જે ગિરાસદારની જમીન ભાગમાં વાવતા હતા તે જમીન ખેતમજૂર દરજ્જે ખરીદી હોવાની દલીલ કરી હતી. જોકે કેસ દરમિયાન અરજદારો ખેતમજૂર હોવાના પુરાવા રજૂ નહીં કરી શકતા જિલ્લા કલેક્ટરે ખાતેદાર પ્રમાણપત્ર માટે પ્રમોલગેશનથી ખેડૂતનો દરજ્જો જરૂરી હોવાનું નોંધી અપીલ ફગાવી દઈ પ્રાંત રાજકોટ ગ્રામ્યનો ચુકાદો યથાવત્ રાખ્યો હતો. 63 વર્ષમાં રેવન્યુ અધિકારીઓએ નોંધ પડકારી ન હોવાની બન્ને અરજદારોની અપીલ પણ ફગાવી દીધીખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર મેળવવાના આ કેસમાં અરજદારોના વકીલે દલીલ કરતા જણાવ્યું હતું કે, અરજદારો પેઢી, દર પેઢીથી ખેતીની જમીન ધરાવે છે સાથે જ ઉત્તરોત્તર વારસાઈ નોંધ પડી હોવા છતાં ખેડૂત ખાતેદાર હોવાના મામલે રેવન્યુ અધિકારીઓ દ્વારા 63 વર્ષ દરમિયાન તકરાર લેવામાં આવી ન હોવાની સાથે ગુજરાત સરકારના ઘરખેડ ઓર્ડિનન્સની કલમ 54 તેમજ સરકારના પરિપત્ર 2009ની જોગવાઈ અને હાઇકોર્ટના ચુકાદા રજૂ કરવા છતાં આ કેસમાં પ્રમોલગેશનથી ખેડૂત ખાતેદાર ન હોવાના કારણે બન્ને અરજદારોની અપીલ ફગાવી દેવામાં આવી હતી.
શહેરમાં ઉતરાયણના એક દિવસ અગાઉ ભરબપોરે ચોર-પોલીસના ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. જેમાં ભુજનો આરોપી વરનોરા તરફથી કારમાં ગૌમાંસ લઈને આવતો હોવાની બાતમીને આધારે એલસીબીના કર્મચારીઓએ આત્મારામ સર્કલથી ૩ ખાનગી કારથી આરોપીનો પીછો કર્યો હતો અને શહેરમાં જ 9 કિલોમીટર સુધી દોડાવ્યા બાદ આરોપી કાર લઈને પલાયન થઇ ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ભાગવતસિંહ ગઢવીએ બી ડીવીઝન પોલીસ મથકે કેમ્પ એરિયાના રામનગરીમાં રહેતા આરોપી ઇમ્તિયાજ અબ્દુલ જુણેજા તથા તેની સાથેના અન્ય ઈસમો વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ મંગળવારે એલસીબીની ટીમ સ્વીફ્ટ, બલેનો અને ક્રેટા કારથી પેટ્રોલીંગ કરી રહ્યા હતા. એ દરમિયાન બાતમી મળી હતી કે,આરોપી તેની ગ્રે જેવા કલરની સ્વીફ્ટ કાર નંબર જીજે 12 ડીએ 18 91 વાળીમાં વરનોરા ગામ તરફથી ગૌમાંસ લઈને આવી રહ્યો છે. બાતમીને આધારે પોલીસ અલગ અલગ પ્રાઈવેટ વાહનોથી આત્મારામ સર્કલની આજુબાજુ વોચમાં હતા. ત્યારે બપોરે દોઢ વાગ્યાના અરસામાં આરોપી કાર લઈને આવ્યો હતો અને જથ્થાબંધ માર્કેટના અંદરના રસ્તેથી આરટીઓ સર્કલ તરફ જવા નીકળ્યો હતો. એ દરમિયાન આરોપીએ પોલીસને જોઈ કારને ટક્કર મારી ભાગ્યો હતો. જે બાદ આરટીઓ સર્કલ તરફ થઇ કેમ્પ એરીયા તરફ ભાગ્યો હતો. ત્યાંથી લાલ ટેકરી થઈ ડીવાયએસપી બંગ્લોઝ સુધી કાર દોડાવી હતી અને ભુજ ઈગ્લીશ સ્કૂલ તરફ જતા રસ્તે થઈ હોસ્પીટલ રોડ પર ફરીથી પોલીસની કારને ટક્કર મારી હતી. આરોપીએ હોસ્પીટલ રોડ તથા કેમ્પ એરીયા વિસ્તારમાં પાર્ક કરેલા વાહનો તથા રસ્તામાં ચાલતા વાહનોને પણ નુક્શાન કરેલ અને આત્મારામ સર્કલ બાજુથી નજર ચુકાવી પલાયન થઇ જતા પોલીસને હાથ લાગ્યો ન હતો. પોલીસના 2 સહિત અન્ય વાહનોને ટક્કર મારી નુકસાન પહોંચાડાયુંપોલીસને જોઇને બેફામ રીતે કાર હંકારનાર આરોપીએ પોલીસ પકડથી બચવા પીછો કરી રહેલી પોલીસની 2 ખાનગી કારને ત્રણ વખત ટક્કર મારી અને 1.70 લાખનું નુકસાન કર્યું હતું. જ્યારે વાયબલ હોસ્પિટલ સામે પડેલી સાહિલ મનોજભાઈ મહેશ્વરીની બલેનો કારને ટક્કર મારી અન્ય વાહનોને પણ હડફેટે લીધા હતા. ગૌમાંસ અને ગૌ હત્યાના ગુના નોધાયેલાઆત્મારામ સર્કલથી પીછો કરતી પોલીસને આરોપી ઇમ્તિયાજ સહીતના કારમાં બેઠેલા દેખાયા હતા. આરોપીઓ સામે ગૌમાંસ અને ગૌ હત્યાના ગુના નોધાયેલા હતા અને એલસીબી કચેરી ખાતે ચેક કરવા માટે પણ બોલાવેલ હોવાથી પોલીસને ઓળખી ગયા હતા જેથી પકડાઈ જવાના ડરથી ભાગ્યા હતા.
આત્મહત્યા:મેસન ક્લબ મંડળીના સંચાલક સહિતની ત્રિપુટીના ત્રાસથી યુવકે આપઘાત કર્યો’તો
રાજકોટના કોઠારિયા ગામ પાસેની સોસાયટીમાં રહેતા અને કડિયાકામ કરતા યુવકે આજથી એક માસ પૂર્વે અટલ સરોવર પાસે સ્યૂસાઈડ નોટ લખી એસિડ પી આપઘાત કરી લીધો હતો. જેમાં મેસન ક્લબ મંડળીના સંચાલક સહિત ત્રિપુટીએ ત્રાસ આપ્યો હોવાનો ઉલ્લેખ હોવાથી પોલીસે નાનાભાઈની ફરિયાદ ઘરથી ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવમાં શહેરના કોઠારિયા રોડ ડાયમંડ પાર્ટી પ્લોટની સામે શિવમ પાર્ક શેરી નં.3માં રહેતા અરુણભાઇ ઉર્ફે અમિત કાનજીભાઈ સાકરિયા(ઉં.વ.34) દ્વારા યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પરાગ સોલંકી મેશન ક્લબ મંડળીવાળા, તૌફિક બેલીમ આર્કિટેક્ટ તેમજ રાજભા ગઢવી રામેશ્વર માર્બલવાળાના નામ આપ્યા હતા. અરૂણભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે કડિયાકામ કરે છે. ગત તા. 29/12/2025ના રોજ તેના મોટાભાઈ હાર્દિકભાઈ કાનજીભાઈ સાકરિયાએ આપઘાત કરી લીધો હતો. આ બાબતે અરૂણભાઇએ વધુમાં જણાવ્યું કે, ગત તા. 28/12/2025ના રોજ સાંજના સાત એક વાગ્યાની આસપાસ તેના ભાઈના કારીગર સુરેશભાઈ રાજસ્થાનીનો તેને કોલ આવ્યો કે, તમારા ભાઈ હાર્દિકભાઈએ આપઘાત કરવા જાય છે અને તેઓ અટલ સરોવર બાજુ ક્યાંક રસ્તા પર છે. જે સાંભળી પોતે તુરંત જ તેના ભાઈ હાર્દિકને ફોન કર્યો, પરંતુ તેણે ફોન ઉપાડ્યો નહીં. ત્યારબાદ તેણે તેના ફઈના દીકરા મનીષભાઈ, જયેશભાઈ વાઘેલા તથા ચિંતનભાઈ રાઠોડ તેમજ વિપુલભાઈ બગથરિયાને તેના ભાઈના વીડિયો બાબતે જાણ કરી અને ભાઈને ગોતવા તેની સાથે આવવાનું જણાવ્યું હતું. ત્યારબાદ હાર્દિકભાઈના કારીગર સુરેશભાઈનો ફરીથી તેના ફોન ઉપર કોલ આવ્યો કે, તમારા ભાઈ અટલ સરોવર પાસે છે. જે સાંભળી બધા રસ્તામાં ભેગા થઈ અટલ સરોવરથી કટારિયા ચોકડી જવાના રસ્તે વચ્ચે માધવ ચોક પાસે તેના ભાઈનું હોન્ડા જોવા મળ્યું હતું. જેની બાજુમાં ફૂટપાથથી નીચે ઢાળિયાવાળી જગ્યા પર હાર્દિકભાઈ બેઠા હતા. તેને પૂછતા તેમણે જણાવ્યું કે, મેં ત્રાહિતોના ત્રાસથી કંટાળી જઈ એસિડ પી લીધું છે. જેથી પોતે તાત્કાલિક ભાઈને ખાનગી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જતી વખતે તેના ભાઈએ તેને જણાવ્યું કે, મેશન ક્લબ મંડળીના માલિક પરાગભાઈ સોલંકીને ત્યાં મેં તથા અલ્પેશભાઈએ 2017માં વેરાવળ ખાતેના ફ્લેટના દસ્તાવેજ ઉપર મોર્ગેજ લોન રૂ.4 લાખની લીધી હતી, બાદમાં 2023માં મેં તથા અલ્પેશભાઈએ વધુ પૈસાની જરૂર હોવાથી પર્સનલ લોન રૂ.2 લાખની બંને ભાઈઓના નામની કુલ રૂ.4 લાખની લોન લીધી હતી અને બાદમાં ગામડાંની જમીન વેચી દઈ અગાઉ લીધેલ મોર્ગેજ લોન રૂ.4 લાખની પૂરી કરી દીધી હતી. તેમ છતાં આ પરાગભાઈએ ફ્લેટ મોર્ગેજના કાગળો મને આપ્યા નહીં અને મેં જે પર્સનલ લોન લીધી હતી તેનું વ્યાજ વધુ થતું હોય જેથી આ બાબતે પરાગભાઈ સોલંકીને વાત કરતા તેમણે મારી પર્સનલ લોનને મારી મોર્ગેજ લોન પેટે અગાઉ આપેલ દસ્તાવેજ ઉપર ટ્રાન્સફર કરી આપવાનું જણાવ્યું અને જે લોનના જામીન પેટે મારી પત્ની નીલમના બેંક ખાતાના કોરા 10 ચેક લીધા હતા. વર્ષ 2025માં અલ્પેશે પરાગ સહિત અન્ય માણસોના ત્રાસથી આપઘાત કરી લેતા લોનના ભરવાના પૈસા બાકી હોય જેથી પરાગે રાજકોટ અને લોધિકા કોર્ટમાં ચેક બાઉન્સની ફરિયાદ નોંધાવેલી તેમજ ભાભી નીલમબેન સામે મોરબી કોર્ટમાં ફરિયાદ કરી બાદ આર્કિટેક્ટ પણ જે જગ્યાએ મોટાભાઈએ કામ રાખેલ ત્યાં રૂ.2.50 લાખનું નુકસાન કરાવી ત્રાસ આપ્યો હતો અને રાજભા ગઢવીએ બાકીના પૈસા આપી દેવા ધમકી આપી હોવાથી અને કંટાળી જઈ હાર્દિકભાઈ પગલું ભરી લીધું હોવાનું જણાવતા પોલીસે ત્રિપુટી સામે મરવા મજબૂરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લખપત તાલુકાના જુણાચાયમાં શંકાસ્પદ પાવરનામાના આધારે લાંબા દિવસો બાદ દાખલ થયેલી વેચાણની નોંધ રદ કરાઈ છે. લખપત તાલુકાના જુણાચાય ખાતે રે.સ.નં.65 તથા 480 વાળી જમીનમા લાંગાય ઈશાક સુલેમાન દ્વારા વેચાણ દસ્તાવેજ આધારે નોંધ દાખલ કરવાની પ્રક્રિયા કરાતા સદર ઠામના રેવન્યુ રેકર્ડમા વેચાણની કાચી હકકપત્રક નોંધ દાખલ કરાઈ હતી. જે નોંધ ખોટી રીતે અને ખોટા પાવરનામાથી બનેલા દસ્તાવેજના આધારે દાખલ કરવાની તજવીજની જાણ માલીક ખેડુત રામસંગજી અખેરાજજી સોઢાને થતા નોધ મંજુર ન કરવા સબબ વાંધા અરજી અપાઈ હતી અને વેચાણની નોંધને તકરારી રજીસ્ટરે દાખલ કરી નાયબ કલેકટર નખત્રાણા સમક્ષ તકરારી કેસ ચલાવાયો હતો.જે કેસ કામે વાંધેદાર અને સામાવાળા તરફથી વિગતવાર રજુ રેકર્ડના આધારે દલીલો કરાઈ અને ત્યારબાદ નખત્રાણાના પ્રાંત દ્વારા વાંધેદારની વાંધાઅરજી ગ્રાહ રાખતા તેમના હુકમમા નોંધવામાં આવ્યું કે, સવાલવાળી જમીનમા લાંગાય ઈશાક સુલેમાને મામલતદાર કચેરી લખપત મધ્યે દસ્તાવેજની ઘણા લાંબા દિવસો બાદ એન્ટ્રી કરાવી છે અને આ અગાઉ વર્ષ 2008મા વેચાણની નોંધ રદ થઇ છે. જે લંબાયેલા સમય બાબતે કોઈ સ્પષ્ટ કારણો જણાવવામાં નિષ્ફળ રહ્યા હતા. રામસંગજી સોઢા નામનુ સ્પે. પાવરનામુ રજુ કરાયું હતુ. જે પેનથી તેમજ કોમ્પ્યુટરથી શંકાસ્પદ રીતે લખાયેલ હોઈ અને તેવા શંકાસ્પદ પાવરનામાથી બનેલ દસ્તાવેજની સત્યતા અને ખરાઈ કરવી આવશ્યક હોઈ તેવા તારણ સાથે વાંધેદારની વાંધાઅરજી ગ્રાહ્ય રાખી વેચાણ અંગેની નોધ નામંજુર કરવાનો હુકમ કરાયો હતો. આ કેસ કામે વાંધેદારના વકીલ સી.જે.ગોહિલે હાજર રહી પાવરનામા અને સમયમર્યાદા તેમજ દસ્તાવેજની વિસંગતતા બાબતે સક્ષમ ઓથોરીટીના ચુકાદાઓ રજૂ કરી દલીલો કરી હતી.
ફરિયાદ:હોટેલના સંચાલકે મિત્ર પાસે ન્યૂઝ છપાવી હોવાની શંકાએ યુવક પર હુમલો
બસ સ્ટેશન પાછળ હોટેલ ચલાવતા સંચાલકે મિલપરામાં આવેલી એક હોટેલમાં કૂટણખાનું ચાલે છે તેવા ન્યૂઝ સોશિયલ મીડિયા પેજ પર છપાતાં આ ન્યૂઝ ચલાવનારો શખ્સ હાલ ગોવા ગયેલા હોટેલ સંચાલકનો મિત્ર હોઇ જેથી જેના વિશે ન્યૂઝ છપાયા તે હોટેલ સંચાલકે તેને ગોવા ફોન કરી આ વિશે વાત કરતાં તેણે રાજકોટની પોતાની હોટેલના કર્મચારીને જાણ કરી પોતે આવા કોઇ ન્યૂઝ છપાવ્યા નથી એ અંગેનો ખુલાસો કરી આવવાનું કહેતાં કર્મચારી મિલપરામાં આવેલી હોટેલ ખાતે શેઠે કહ્યા મુજબ ખુલાસો કરવા જતાં બોલાચાલી થતાં તે ત્યાંથી ભાગી નીકળ્યા બાદ તેને મિલપરાની હોટેલના સંચાલક બે ભાઇઓ અને એક નેપાળી શખ્સે મળી બસ સ્ટેશન પાછળની ખોડિયાર હોટેલ પાસે આંતરી હોકી અને લોખંડના પાઇપથી બેફામ માર મારતાં તે લોહીલુહાણ થઇ ગયો હતો. એ-ડિવીઝન પોલીસે એસ.ટી. બસ સ્ટેશન પાછળ હોટેલ મૂન ખાતે રહેતાં કલ્યાણપુર તાબેના પ્રેમસર ગામના રહેવાસી વિજય કરશનભાઇ ગોજિયાની ફરિયાદ પરથી એચ.આર. કિંગ હોટેલના સંચાલક હિરેન પ્રજાપતિ અને તેનો ભાઈ મયૂર પ્રજાપતિ તેમજ વિશાલ નેપાળી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. વિજયભાઈએ જણાવ્યું છે કે, પોતે હોટેલ મૂનમાં નોકરી કરે છે. 11મીએ સોશિયલ મીડિયા પેજ ઉપર એચ.આર. કિંગ હોટેલ મિલપરા ખાતે કૂટણખાનું ચાલે છે તેવા ન્યૂઝ પ્રસારિત થયા હતા અને આ ન્યૂઝવાળા વિશ્વજિતભાઈ તેના શેઠ ભાવેશભાઈના મિત્ર છે. તેથી એચ.આર. કિંગ હોટેલવાળા હિરેનભાઈ પ્રજાપતિએ તેના શેઠને જણાવેલ કે, તમોએ તમારા મિત્ર વિશ્વજિતભાઈના ન્યૂઝમાં અમારી હોટેલ એચ.આર. કિંગમાં કૂટણખાનું ચાલે છે તેવું છપાવેલ છે. જેથી શેઠે તેને ગોવાથી ફોન કરી હિરેનભાઈને જણાવવા કહ્યું કે,”તેણે તેમની હોટેલ વિશે ન્યૂઝમાં કોઈ માહિતી આપેલ નથી.’ જેથી શેઠના કહ્યા મુજબ તે મિલપરા હિરેનભાઈને મળવા ગયો હતો ત્યાં બોલાચાલી થતા ત્યાંથી નાસી ગયો હતો. બાદમાં રાત્રિના મેનેજર ગૌરાંગભાઈનો તેને ફોન આવેલ તેણે ત્રણ અજાણ્યા શખ્સ હોટેલ મળવા આવ્યાનું જણાવ્યું હતું. જેથી પોતે હોટેલ મૂન ખાતે જતો હતો ત્યારે હિરેનભાઈ પ્રજાપતિ તેમનો ભાઈ મયૂર, વિશાલ નેપાળીએ રસ્તામાં આંતરી હોકી તથા લોખંડના પાઈપથી ત્રણેય તૂટી પડ્યા હતાં. ગંભીર હાલતમાં યુવકને સરકારી બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા તેને માથાના ભાગે 7 ટાંકા આવ્યા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
તપાસ:રાજકોટમાં બાથરૂમમાં પડી જતાં વૃદ્ધનું અને બેભાનાવસ્થામાં નિવૃત્ત ASI સહિત 4નાં મોત
શહેરમાં ચાર અલગ-અલગ ઘટનાઓમાં બે વૃદ્ધ, એક પ્રૌઢ અને એક બાળકીનું મૃત્યુ થતાં પરિવારોમાં શોક છવાઇ ગયો હતો. મોરબી રોડ પર કૈલાસ પાર્ક-2માં રેહતા નારણભાઇ ગગજીભાઈ વાઘાણી (ઉં.વ.75) ઘરે બાથરૂમમાં પડી જતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ અહીં મૃત્યુ થયું હતું. તેઓાને સંતાનમાં બે દીકરા છે. પોતે બહુમાળી ભવનના નિવૃત્ત પ્યૂન હતા. બીજા બનાવમાં પ્રહલાદ પ્લોટ-7માં રહેતાં અરવિંદભાઇ ગોપાલભાઈ વિરાણી(ઉં.વ.50) ઘરે સીડી પરથી ઉતરતી વખતે પડી જતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં, પરંતુ અહીં મૃત્યુ થયું હતું. તે એક બહેન અને બે ભાઈમાં નાના હતા. સંતાનમાં એક દીકરી છે. ત્રીજા બનાવમાં સંત કબીર રોડ રાજારામ સોસાયટી-4માં રહેતાં હર્ષદભાઈ બાવાલાલ મોરણિયા (ઉ.વ.67) બીમારીથી ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ અહીં મૃત્યુ થયું હતું. તેઓ નિવૃત્ત એએસઆઇ હતા. સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. ચોથા બનાવમાં દેવપરા અંકુર સોસાયટી મેઇન રોડ પર રહેતાં આરિફભાઇ દરજીની દીકરી અનમ(ઉ.6 મહિના) ઘરે શ્વાસ ચડતાં બેભાન થઇ જતાં હોસ્પિટલમાં ખસેડાઇ હતી, પરંતુ મૃત્યુ થયું હતું.આ બનાવોમાં બી-ડિવિઝન, એ-ડિવિઝન, થોરાળા અને ભક્તિનગર પોલીસે કાર્યવાહી કરી હતી.
આકર્ષણ:રાજકોટમાં વાઇબ્રન્ટમાં ફાઈટર પ્લેનથી લઈ ધોલેરા સરની માહિતી આપતા સ્ટોલ
વડાપ્રધાન મોદીએ મારવાડી યુનિવર્સિટી ખાતે ખુલ્લું મૂકેલું વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ એક્ઝિબિશન સોમવારથી નાગરિકો માટે ખુલ્લું મુકાયું છે. નાગરિકો તા.15મી સુધી દરરોજ સવારે 10થી સાંજે 5.30 સુધી ઓપન એન્ટ્રી મેળવીને વિવિધ ડોમ નિહાળી શકશે. અહીં ભારતીય વાયુ સેનાના ફાઇટર પ્લેન તેજસથી લઈને સુખોઈ-30ની પ્રતિકૃતિ, સ્વદેશી હાટ, લાઇવ કદના જહાજ સહિત અનેક આકર્ષણ કેન્દ્રો છે. મારવાડી યુનિવર્સિટી ખાતે 18 હજાર ચોરસમીટરમાં વિશાળ છ ડોમમાં થીમ પેવેલિયન બનાવાયા છે. જેમાં ગેટવે ટુ ગ્લોબલ ગ્રોથ, ગ્રીન એનર્જી ઈકો સિસ્ટમ અને પેટ્રોકેમિકલ્સ,‘હસ્તકલા ગ્રામ્ય અને એમ.એસ.એમ.ઈ. થીમ, ઓશન ઓફ ઓપોર્ચ્યુનિટીઝ, એન્ટરપ્રાઈઝ એક્સેલન્સ પેવેલિયન અને પબ્લિક સેક્ટર પાવર હાઉસ સાથે પ્રદર્શન છે. નાગરિકોને વોકલ ફોર લોકલના મંત્રને સાર્થક કરતાં સ્થાનિક ગ્રામીણ કારીગરોના ઉત્પાદનોથી લઈ એમ.એસ.એમ.ઈ.ની તાકાતનું નિદર્શન જોવા મળે છે.
રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શ્રેણીનો બીજો વન-ડે મેચ રમાવાનો છે. બંને ટીમોએ મંગળવારે ભરપૂર પ્રેક્ટિસ કરી અને પરસેવો પાડ્યો છે. સ્ટેડિયમ પર પ્રેક્ટિસ સેશન દરમિયાન હજારો ક્રિકેટપ્રેમીઓ ઊમટી પડ્યા હતા. રાજકોટના પતંગ રસિયાઓ અને ક્રિકેટપ્રેમીઓ માટે બુધવારનો દિવસ બેવડી ખુશી લઈને આવ્યો છે. સવારથી બપોર સુધી પતંગના પેચ લગાવીને કાઈપો છે… કાઈપો છે…ની મોજ માણવામાં આવશે ત્યારબાદ જેઓને ક્રિકેટમાં પણ ભરપૂર રસ છે તેઓ ખંઢેરી સ્ટેડિયમ પર પહોંચી જશે. રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ પર અત્યાર સુધીમાં ચાર ઈન્ટરનેશનલ મેચ રમાય છે. પહેલો મેચ 11 જાન્યુઆરી 2013ના દિવસે ઈંગ્લેન્ડ સામે રમાયો હતો. જેમાં ભારતની હાર થઈ હતી. 18 ઓક્ટોબર 2015માં રમાયેલા સાઉથ આફ્રિકા સામેના મેચમાં પણ ટીમ ઈન્ડિયાને નાલેશી મળી હતી. જ્યારે 17 જાન્યુઆરી 2020 અને 27 સપ્ટેમ્બર 2023માં ઓસ્ટ્રેલિયા મેચ રમાઈ હતી તેમાં 17 જાન્યુઆરીની મેચ ભારત જીત્યું હતું જ્યારે બીજામાં ઓસ્ટ્રેલિયામાં વિજય થયો હતો. ચારેય મેચમાં અત્યાર સુધીમાં કુલ 111 છગ્ગા, 257 ચોગ્ગા લાગ્યા છે. એકમાત્ર ડી’કોકએ સદી ફટકારી હતી. આ ઉપરાંત કોઇ ખેલાડી 100 રન કરવામાં સફળ થયો નથી. સૌથી વધુ વિકેટ ઈંગ્લેન્ડના જેમ્સ ટ્રેડવેલે લીધી હતી. તેને 44 રન આપીને ભારતના ચાર ખેલાડી આઉટ કર્યા હતા. ત્યારબાદ એમ. મોરકલે પણ 39 રન આપીને ચાર વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલે પણ ભારત સામેની મેચમાં 40 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. અત્યાર સુધી જે ચાર મેચ રમાય છે તેમાં ઈંગ્લેન્ડના જેમ્સ ટ્રેડવેલ, સાઉથ આફ્રિકાના ડી’કોક, ભારતના શિખર ધવન અને ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલને મેન ઓફ ધ મેચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. બુધવારે ખંઢેરી સ્ટેડિયમ પર પાંચમો ઈન્ટરનેશનલ વન ડે રમાવાનો છે. અત્યાર સુધીમાં ભારત ચારમાંથી ત્રણ મેચ હાર્યુ છે અને ન્યૂઝીલેન્ડ સામેની વન ડે શ્રેણીમાં પ્રથમ મેચ જીતી ગયું છે અને આજે જે મેચ રમાવાનો છે તે જીતીને ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી કબજે કરવા અને ખંઢેરી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પ્રભુત્વ જમાવવા પ્રયાસ કરશે. મેચમાં 3 એએસપી સહિત 700 પોલીસ જવાન બંદોબસ્તમાં રહેશે વન-ડે ક્રિકેટ મેચના બંદોબસ્ત સંદર્ભે માહિતી આપતા રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, આવતીકાલે યોજાનાર વન-ડે મેચ શાંતિપૂર્વક રમાઈ અને કોઇ ખલેલ ન પહોંચે તે માટે સ્ટેડિયમમાં 3 એએસપી, 4 ડીવાયએસપી, 14 પીઆઇ, 42 પીએસઆઇ, 700 પોલીસ કર્મચારી, 38 ટ્રાફિક પોલીસ, ટીઆરબી તથા જીઆરડીના 400 અને 100 પોલીસ બોડીવોર્ન કેમેરા સાથે સહિત કુલ 1300નો પોલીસ કાફલો ખડેપગે તૈનાત રહેશે. સ્ટેડિયમમાં બીડીડીએસની ટીમ ડોગ સ્ક્વોડ સાથે સતત ચેકિંગ કરશે. આટલું કરવું અને આટલું ન કરવું ભારે વાહનો માટે ડાયવર્ઝન અપાયુંક્રિકેટ મેચના કારણે રાજકોટ-જામનગર હાઇવે પર ટ્રાફિકજામ થવાની સંભાવના હોય જેથી ટ્રાફિક નિયમન માટે તા.14મીના 10:00થી 24:00 વાગ્યા સુધી ભારે વાહનના ચાલકોએ આ જાહેરનામાનું અનુસરણ કરવું આવશ્યક છે. જામનગરથી રાજકોટ તરફ આવતા ભારે વાહનો માટેપડધરી મોવૈયા સર્કલથી ડાયવર્ઝન આપી, જે વાહનોને પડધરી-નેકનામ- મિતાણા થઇ રાજકોટ તરફ આવી શકશે. રાજકોટથી જામનગર જતા વાહનો માટેમાધાપર ચોકડીથી મોરબી રોડ-મિતાણા, ટંકારા થઇ જામનગર, ધ્રોલ તરફ ડાઇવર્ટ કરવામાં આવેલ છે. પાર્કિંગ વ્યવસ્થાક્રિકેટ મેચ નિહાળવા આવતા પ્રેક્ષકોના વાહન પાર્ક કરવા માટે 7 પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જે પાર્કિંગમાં 5000 ફોર-વ્હિલ તથા 5000 ટૂ-વ્હિલ પાર્ક થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પાસમાં લખેલી સૂચના મુજબની જગ્યાએ જ વાહન પાર્ક કરવાનું રહેશે.
ભાસ્કર ઈનસાઈડ:ગુનો કર્યો તો મિલકત જપ્તી, ગુજસીટોક, પાસા ઉગામાશે
ભુજના ચીટરો દેશભરમાં સસ્તા સોનાના નામે ઠગાઈ આચરી કરોડો રૂપિયા પડાવી ચુક્યા હોવાના બનાવો સામે આવી ચુક્યા છે. તેવામાં હવે ચીટરો નકલી નોટોના બંડલનો વિડીયો દેખાડી રૂપિયા ડબલ કરવાની લાલચે છેતરપિંડીના બનાવને અંજામ આપી રહ્યા છે. ત્યારે આવા ગુનાઓ અટકાવવા માટે એલસીબીએ પશ્ચિમ કચ્છમાં લોભામણી જાહેરાતો કરી ઠગાઈના બનાવને અંજામ આપનાર 53 આરોપીઓને બોલાવી ખબરદાર કરી કડક પગલા લેવાની સુચના આપવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીના પીઆઈ એ.એમ.મકવાણાએ ઠગાઈના બનાવો અટકાવવા ટીમને સુચના આપી હતી. જેથી અગાઉ પશ્ચિમ કચ્છમાં સસ્તા સોના અને નકલી નોટોના બંડલ બતાવી લોભામણી જાહેરાત થકી છેતરપિંડીના બનાવને અંજામ આપનાર આરોપીઓને એલસીબી કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા. નકલી સોનુ બતાવી ઠગાઈ કરતા ઈસમો તેમજ નકલી નોટો બતાવી રૂપિયા ડબલ કરવાના નામે ગુનો આચરનાર 53 આરોપીઓની એલસીબી કચેરી ખાતે ઓળખ પરેડ કરવામાં આવી હતી. જેમાં આરોપીઓને કડક સુચના આપવામાં આવી હતી કે,હવે પછી આવા ગુનાઓને અંજામ આપશો તો કાયદાની જોગવાઈ પ્રમાણે મિલકત જપ્તી,ગુજસીટોક અને પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવશે અને કડક કાયદાકીય પગલા ભરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે,સસ્તા સોનાના નામે દેશભરમાં ગમે ત્યાં ઠગાઈનો બનાવ બને એટલે ભુજના ચીટરોની સંડોવણી સામે આવતી હોય છે.કુખ્યાત બનેલા ચીટરોને ડામવા માટે એલસીબી દ્વારા આરોપીઓને ખબરદાર કરી ગુનાહિત પ્રવૃત્તિથી દુર રહી સમાજમાં શાંતિ પૂર્વક રહે તે માટે ગંભીર સુચના આપવામાં આવી હતી. સવારે 53ની ઓળખ પરેડ, સાંજે 54મો પકડાયોઓળખ પરેડ બાદ એલસીબીની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. એ દરમિયાન બાતમી મળી હતી કે, તયબાહ ટાઉનશીપ ગેટ પાસે એક ઇસમ હાજર છે અને તે મોબાઇલ ફોનમાં સોશ્યલ મીડીયામાં ખોટી આઇડી બનાવી સસ્તુ સોનુ આપવાની જાહેરાત કરી લોકો સાથે છેતરપીંડી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. બાતમીને આધારે રહીમનગરના આરોપી રફીક જુસબ સોઢાને ઝડપી લેવામાં આવ્યો હતો. જેના મોબાઈલમાં સુરત પટેલ નામની ફેસબુક આઇડી ચાલુ હતી.જેમાં બજાર ભાવ કરતા ઓછા ભાવે સોનુ આપવાની જાહેરાત કરેલી હતી.આરોપી સામે ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયાને હથિયાર બનાવ્યુંઠગાઈના બનાવને અંજામ આપતા ચીટરો સોનાના બિસ્કીટ અને નકલી નોટોના બંડલનો વિડીયો બનાવી ફેસબુક,ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ સહીતના સોશિયલ મીડિયા પર જાહેરાતો કરી લોકોને શીશામાં ઉતારી ઠગાઈને અંજામ આપે છે.પોલીસ દ્વારા લોકોને લોભામણી જાહેરાતો પર વિશ્વાસ ન કરવા વારંવાર સૂચના અપાય છે.
રાજ્યમાં ઉદ્યોગોના વિકાસ માટે જીઆઇડીસી મહત્ત્વનું પરિબળ છે. રાજકોટ, મોરબી, કચ્છ, સહિતના તમામ જિલ્લામાં ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે, જીઆઇડીસી વસાહત આવેલ છે. જોકે સરકાર દ્વારા નવી જીઆઇડીસીની જાહેરાત કર્યા બાદ વર્ષો સુધી જીઆઇડીસી ડેવલોપ થતી નથી ત્યારે રાજકોટ ખાતે કચ્છ-સૌરાષ્ટ્ર વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સના આયોજન દરમિયાન એક ઐતિહાસિક નિર્ણય લઈ જિલ્લા કલેક્ટર દ્વારા માત્ર 3 દિવસમાં જ બામણબોર જીઆઇડીસી મંજૂર કરવામાં આવી હતી. નોંધનીય છે કે, વાઇબ્રન્ટના મંચ પરથી વડાપ્રધાન મોદીએ જાહેર કરેલી સૌરાષ્ટ્ર-કચ્છની 13 નવી સ્માર્ટ જીઆઇડીસી પૈકીની બામણબોર જીઆઇડીસી એક છે. રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.ઓમપ્રકાશે જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ પૂર્વે અમદાવાદ નેશનલ હાઇવે પર હિરાસર એરપોર્ટ નજીક નવી બામણબોર જીઆઇડીસી મંજૂર કરવામાં આવી છે. 55 હેક્ટર જમીન પર આકાર લેનાર આ જીઆઇડીસી માટે માત્ર 72 કલાકના સમયમાં તમામ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી હતી. મહત્ત્વનું છે કે, બામણબોર જીઆઇડીસીની મંજૂર થયેલ જમીનમાં બે ખેડૂતોના ઓવરલેપિંગનો પ્રશ્ન હોવા છતાં પણ મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર, ડીઆઇએલઆર સહિતના તમામ વિભાગોએ સંકલન સાથે કામગીરી કરી ત્રણ દિવસમાં ખેડૂતોના પ્રશ્નનો પણ નિવેડો લાવતા બામણબોર જીઆઇડીસીને મંજૂરી આપવામાં આવી હતી. નોંધનીય છે કે, વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં રાજકોટને નાગલપર મેડિકલ ડિવાઇસ પાર્કની સાથે નવી બામણબોર જીઆઇડીસીની પણ ભેટ મળી છે. GIDCમાં તમામ ઉદ્યોગો સ્થાપી શકાશેરાજકોટ -અમદાવાદ નેશનલ હાઇવે પર નવી બામણબોર જીઆઇડીસીની મંજૂરી અંગે જીઆઈડીસીના જનરલ મેનેજર સુરેશ રાણાએ જણાવ્યું હતું કે, બામણબોર નજીક હાલમાં રોલિંગ મિલ, પાઇપ મેન્યુફેક્ચરિંગ યુનિટ, સિરામિક સહાયક એકમો, ઓટો પાર્ટ્સ અને મશીનરી, કેમિકલ અને એગ્રી પ્રોડક્ટ્સ તેમજ લોજિસ્ટિક્સ વેરહાઉસિંગ સહિતના યુનિટ આવેલ છે. જેમાં 55 હેક્ટર જમીન પર આકાર પામનાર જીઆઈડીસીમાં પણ તમામ પ્રકારના ઉદ્યોગોને જમીન આપવામાં આવશે.
ભુજના એરપોર્ટ રિંગ રોડ પર આવેલા ભાડાના શોપિંગ કોમ્પલેક્ષને લઈને ફરી એકવાર વિવાદ ઊભો થયો છે. ધરતીકંપ બાદ ભાડાએ બનાવેલા ત્રણ શોપિંગ કોમ્પ્લેક્ષમાંથી એક એરપોર્ટ રિંગ રોડ પર આવેલો છે, જ્યાં આજે મોટા ભાગની દુકાનોમાં હોટલ અને રેસ્ટોરન્ટ શરૂ થઈ ગયા છે. આસપાસ રહેતા માધવનગરના રહેવાસીઓ માટે સમસ્યાઓમાં વધારો થયો છે. રહેણાંક વિસ્તારમાં અનાવશ્યક વાહન વ્યવહાર અટકાવવા કોલોની તરફ જતા રસ્તામાં માધવનગરના રહેવાસીઓએ રવિવારે બે નાના સ્તંભ લગાવ્યા હતા, જેથી નાના વાહનો પસાર થઈ શકે. પરંતુ ભાડા દ્વારા માત્ર બે દિવસમાં સ્તંભો ઉખાડી નાખવામાં આવ્યા, જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કારીતાસ સોસાયટીની બહાર આવેલા આ ભાડાના સંકુલમાં લગભગ તમામ દુકાનો હોટલ અને રેસ્ટોરન્ટમાં પરિવર્તિત થતાં પાર્કિંગની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. પૂરતી પાર્કિંગ ન હોવાથી ગ્રાહકો રહેણાંક વિસ્તારમાં વાહનો પાર્ક કરે છે. પરિણામે ત્યાં રહેતા 400થી વધુ પરિવારોને રોજિંદા મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત, ટેન્કરોની આવજા અને પાણીની સિસ્ટમની સફાઈ પાછળના રહેણાંક વિસ્તારમાં અસ્વચ્છતા અને અવરોધનું કારણ બની રહી છે. સ્થાનિકોનો આરોપ છે કે અનેક દુકાનદારો દ્વારા રસોડું તથા અન્ય સુવિધાઓ માટે પાછળના ભાગમાં અંદાજે દસ દસ ફૂટ સુધી દબાણ કરવામાં આવ્યું છે, જે અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. બે દિવસમાં કોલોનીવાસીઓ કરશે રજૂઆતહોટલ માલિકોના દબાણ સામે નારાજ રહેવાસીઓએ આગામી બે દિવસમાં સહ પરિવાર ભાડા પ્રશાસન સમક્ષ લેખિત રજૂઆતનો નિર્ણય લીધો છે અને રહેણાંક વિસ્તારની શાંતિ જાળવવા તંત્ર કડક પગલાં ભરે તેવી માંગ ઉઠાવી છે.
રાજ્ય સરકારની ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની (GUDC) દ્વારા ગત નવેમ્બર માસની શરૂઆતમાં રૂ.82 કરોડના ખર્ચે મંજૂર કરાયેલા પીડીએમ ફાટક અન્ડરપાસ પ્રોજેક્ટની કામગીરી હજુ સુધી આગળ ન વધતા પ્રોજેક્ટ ઢીલમાં પડ્યો હોવાનો ચિત્ર ઉપસ્યું છે. પરિણામે ગોંડલ રોડથી ઢેબર રોડ અને ઢેબર રોડથી ગોંડલ રોડ તરફ જતા રોજના અંદાજે 1.14 લાખ વાહનચાલકોની ટ્રાફિક સમસ્યા યથાવત્ રહેવાની શક્યતા દેખાઈ રહી છે. પ્રોજેક્ટની મંજૂરીની શરતો મુજબ કુલ ખર્ચનો અડધો ભાગ એટલે કે રૂ.41 કરોડ રેલવે તંત્ર દ્વારા અને બાકીનો રૂ.41 કરોડ જીયુડીસી દ્વારા આપવાનો છે. આ સંદર્ભે રાજકોટ મહાનગરપાલિકાએ બે માસ અગાઉ રેલવે તંત્રને લેખિતમાં ખર્ચ ફાળવવા પત્ર પાઠવ્યો હતો. જોકે હજુ સુધી રેલવે તરફથી મંજૂરીનો કોઈ જવાબ ન મળતા પ્રોજેક્ટ હાલ લટકી પડ્યો હોવાનું મનાય છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યકાળ દરમિયાન જાહેર કરાયેલા આ પ્રોજેક્ટને વર્ષો સુધી પડતો મૂકવામાં આવ્યો હતો. વોર્ડ નં.13 અને 17ની સરહદે આવેલા પીડીએમ ફાટકે અન્ડરપાસ બનાવવા રાજકોટવાસીઓએ લગભગ એક દશકાની રાહ જોવી પડી હતી. અંતે જીયુડીસી દ્વારા લીલીઝંડી મળ્યા બાદ આશા જાગી હતી, પરંતુ અમલી કાર્યવાહી ધીમી પડતા નિરાશા ફેલાઈ છે. પ્રોજેક્ટમાં વધુ વિલંબ થવાથી આગામી બેથી અઢી વર્ષ સુધી વાહનચાલકોને હાલાકી ભોગવવી પડશે તેવા સંકેતો મળી રહ્યા છે. પીડીએમ ફાટકેથી દરરોજ 20 જેટલી ટ્રેન પસાર થાય છેગોંડલ રોડ પર આવેલા પીડીએમ ફાટકેથી દરરોજ સરેરાશ 20 જેટલી ટ્રેન પસાર થાય છે, જેમાં 12 પેસેન્જર ટ્રેન અને 8 માલગાડીનો સમાવેશ થાય છે. ફાટક બંધ થતાં જ ઢેબર રોડ અને ગોંડલ રોડ પર વાહનવ્યવહાર ઠપ થઈ જાય છે અને હજારો વાહનચાલકો લાંબા સમય સુધી ફસાઈ જાય છે. પ્રોજેક્ટ કામગીરી ચાલુ છે, ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ ગઈપીડીએમ ફાટક અન્ડરપાસનો પ્રોજેક્ટ હાલ પ્રોસેસમાં છે. ટેન્ડર બનાવવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. રેલવેને પણ 50 ટકા ખર્ચ માટે જાણ કરાઈ છે. તેમનો જવાબ હજી મળ્યો નથી, પરંતુ રેલવે સ્તરે પણ કામગીરી પ્રક્રિયામાં હોવાનું જણાવાયું છે. > અતુલ રાવલ, ઇન્ચાર્જ સિટી એન્જિનિયર, મનપા PDM અન્ડરપાસ માટે 37 નહીં, પરંતુ 60 મિલકત કપાતમાં જશેસૂત્રોના જણાવ્યા મુજબ અગાઉ પીડીએમ રેલવે અન્ડરપાસ માટે 37 મિલકત કપાત કરવી પડશે તેમ અનુમાન હતું, પરંતુ સ્થળ નિરીક્ષણ અને પ્રોજેક્ટ ડિઝાઇન મુજબ હવે આશરે 60 મિલકત કપાતમાં જશે. આ માટે ટાઉન પ્લાનિંગ શાખાએ તૈયારી શરૂ કરી દીધી છે.
ફૂડ વિભાગ એક્શનમાં:પંડ્યાઝ, જલારામ, રાજશક્તિ સહિતના સ્થળેથી ખાદ્યચીજોના 10 નમૂના લેવાયા
મકરસંક્રાંતિ જેવા તહેવારો દરમિયાન લોકો મોટા પ્રમાણમાં બહારથી ખાદ્યપદાર્થો ખરીદે છે ત્યારે ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તા જાળવવા રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. તા.13ના રોજ ફૂડ વિભાગની ટીમે FSW વાન સાથે આઈ.ટી.આઈ. હોકર્સ ઝોનથી આજી ડેમ ચોકડી સુધીના વિસ્તારમાં આવેલી ખાદ્યચીજોના ધંધાર્થીઓની ચકાસણી કરી હતી. આ ચકાસણી દરમિયાન કુલ 17 ધંધાર્થીની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 15 ધંધાર્થી પાસે જરૂરી ફૂડ લાઇસન્સ ન હોવાનું સામે આવતા તેમને તાત્કાલિક લાઇસન્સ મેળવવા બાબતે સૂચનાઓ આપવામાં આવી હતી. જ્યારે બે હોટેલની નિયમિત ચકાસણી કરવામાં આવી હતી. ફૂડ વિભાગે રૈયા ચોકડી વિસ્તારમાં આવેલા પંડ્યાઝ રસથાળ, જલારામ રેસ્ટોરન્ટ તથા જય હિંગળાજ રેસ્ટોરન્ટમાંથી ઊંધિયાના નમૂના લીધા હતા. મોરબી રોડ વિસ્તારમાં પારેવડી ચોકમાં આવેલી અંબિકા ફરસાણ માર્ટ, વરિયા સ્વીટ માર્ટમાંથી જલેબી અને ફાફડાના નમૂના લીધા હતા. આ ઉપરાંત ગાંધીગ્રામના એસ.કે.ચોકમાં આવેલા ઠક્કર ગૃહ ઉદ્યોગ અને રાજશક્તિ ફરસાણ એન્ડ સ્વીટ માર્ટમાંથી પેકેડ તથા લૂઝ ચીકીના નમૂનાઓ પણ લેવાયા હતા. જે મકરસંક્રાંતિ દરમિયાન વિશેષ માંગ ધરાવે છે. આ તમામ નમૂનાઓ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
ઠગાઇ:નિવૃત્ત બેંકકર્મીના ખાતામાં એક રૂપિયો જમા થયો અને 5.65 લાખ ઉપડી ગયા
અડાજણમાં રહેતા અને બેંકના નિવૃત કર્મચારીના બેંક ખાતામાં એક રૂપિયો ક્રેડિટ કરી સાયબર ફ્રોડ કરતી ટોળકીએ 3 બેંક ખાતામાંથી 5.65 લાખ રૂપિયાની રકમ તફડાવી લીધી છે. આ અંગે 62 વર્ષીય બિપીન ગરાસીયાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી છે. જેના આધારે પોલીસે અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે. થોડા દિવસ પહેલાં બનેલી ઘટનામાં અડાજણ ખાતે રહેતા નિવૃત બેંક કર્મચારી બિપીનભાઇ ગરાસિયાના ના ખાતામાં એક રૂપિયો ક્રેડિટ થયો હતો. પછી તેમના ફોન પર ઓટીપી આવ્યો હતો. પછી અચાનક તેના અલગ અલગ બેંકોના 3 ખાતામાંથી 5.65 લાખની રકમ ટ્રાન્સફર કરી લીધી હતી. સિનીયર સિટીઝન કંઈ સમજે તે પહેલા તેના મોબાઇલનું એકસેસ કોઈક રીતે ઠગ ટોળકીએ મેળવી લીધું હતું. પછી ખાતામાંથી રકમ ટ્રાન્સફર કરી લીધી હતી.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:આધુનિક માપક યંત્રો લાગ્યા બાદ ભૂકંપ વેધશાળા નિષ્ક્રિય
કચ્છ જિલ્લો ભૂકંપ ઝોનમાં આવે છે અને અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. 2001ના વિનાશક ભૂકંપ બાદ ભૂકંપના આંચકા પર નજર રાખવા માટે ભુજના કોડકી રોડ પર ભૂકંપ વેધશાળા બનાવાઈ હતી, પરંતુ આજે બે દાયકા બાદ આ વેધશાળા ખંડેર હાલતમાં જોવા મળે છે. હાલ સ્થિતિ એવી છે કે, અહીં વર્ષોથી કોઈ અધિકારી કે કર્મચારી આવતું નથી, કચેરીમાં બાવળો ઉગી ગયા છે અને અંદરના મહત્વના સાધનો કટાઈ ગયા હોવાનું જાણવા મળે છે. ભૂકંપ જેવી ગંભીર આપત્તિ માટે બનાવવામાં આવેલી આ વેદ્યશાળા આજે બેદરકારી અને ઉપેક્ષાનું પ્રતીક બની ગઈ છે. સ્થાનિકો જણાવે છે કે, લાંબા સમયથી કચેરી બંધ હાલતમાં છે અને તેનો કોઈ વપરાશ થતો નથી. આશ્ચર્યજનક બાબત એ છે કે આ કચેરીની માલિકી કે જાળવણી કોને કરવાની તે પણ સ્પષ્ટ નથી, જેના કારણે સરકારી સંપત્તિ નાશ પામી રહી છે. બીજી તરફ સીસ્મોલોજી વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં એઆઈ આધારિત આધુનિક માપક યંત્રો લગાવવામાં આવ્યા છે જેમાં કચ્છમાં ભચાઉ સહિતના વિવિધ વિસ્તારોમાં આ યંત્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. આ યંત્રો દ્વારા ભૂકંપ આવે ત્યારે રિયલ ટાઇમ માહિતી મળી જાય છે.ટેક્નોલોજીના આગમન બાદ કોડકી રોડની જૂની ભૂકંપ વેધશાળાની કોઈ ઉપયોગિતા રહી નથી, છતાં તેને સત્તાવાર રીતે બંધ કરવી કે તેનો અન્ય ઉપયોગ કરવો અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. સરકારી કચેરીને ઉપયોગમાં લેવા માંગ ઉઠીસરકારી તંત્રની બેદરકારીને કારણે એક તરફ ભૂકંપ જેવી આપત્તિ માટે બનેલી મહત્વની કચેરી બિનઉપયોગી બની છે, તો બીજી તરફ જાહેર નાણાંથી ઉભી કરાયેલ માળખાકીય સુવિધા ખંડેરમાં ફેરવાઈ રહી છે. ભૂકંપ ઝોન જેવા સંવેદનશીલ વિસ્તારમાં આવી ઉદાસીનતા ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. સંબંધિત વિભાગ આ વેદ્યશાળાની જવાબદારી નક્કી કરે અને તેને ફરી કાર્યરત બનાવે કે પછી યોગ્ય રીતે ઉપયોગમાં લે તે દિશામાં તાત્કાલિક પગલાં ભરે તે જરૂરી છે.
આત્મહત્યા:લીવરની બીમારીથી કંટાળીને યુવકનો ચપ્પુ મારી આપઘાત
શહેરમાં આપઘાતના અલગ અલગ ત્રણ બનાવોમાં આધેડ સહિત ત્રણ વ્યક્તિએ જીવન ટુંકાવી લીધું હતું. ખટોદરા પંચશીલ નગરમાં રહેતા 35 વર્ષીય સતિષભાઈ દેવીપૂજકે.8 જાન્યુઆરીના રોજ તેમણે પોતે પેટમાં ચપ્પુ મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમને સિવિલ દાખલ કરાયા હતા. જ્યાં સોમવારે સાંજે તેમનું મોત થયું હતું. લીવર સહિતની બીમારીથી કંટાળીને સતિષે આપઘાત કર્યાનું સામે આવ્યું છે. બીજા બનાવમા અમરોલી કોસાડ આવાસ ખાતે રહેતા 36 વર્ષીય સંદીપ કુંવરે બીમારીથી કંટાળીને સોમવારે હાથના ભાગે અને ગળાના ભાગે ચપ્પુ મારી ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ત્રીજા બનાવમાં ગોપીપુરા શિવશક્તિ એપાર્ટમેન્ટ ખાતે રહેતા 55 વર્ષીય મુકશે પિતલવાલા અગાઉ પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા હતા. હાલ તેઓ બેકાર હતા. મંગળવારે સવારે ઘરેથી નીકળ્યા બાદ તેમણે કોઝવેમાં કોઈક સમયે પડતું મુકી આપઘાત કરી લીધો હતો. સ્થાનીક માછીમારોની નજર પડતા તેમને બહાર કાઢ્યા હતા. જોકે 108 એમ્બ્યુલન્સના ઈએમટીએ તેમને મૃત જાહેર કર્યા હતા. મુકેશભાઈને દારૂ પીવાની કુટેવ હતી. જોકે તેમણે 4-5 દિવસથી દારૂ પીવાનો છોડી દીધો હતો. જેના કારણે માનસીક તણાવમાં આવી તેમણે આપઘાતનું પગલું ભરી લીધું હોવાની પરિવારે શક્યતા વ્યકત કરી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કાર્યવાહી:વેપારીએ ઠગાઈમાં ગુમાવેલા 28 લાખ પોલીસે પરત અપાવ્યા
શહેરના ચીટરોએ રાજસ્થાનના વેપારી સાથે ફેસબુક પર સંપર્ક કર્યા બાદ ભુજ બોલાવી રૂપિયા 54 લાખમાં 1 કિલો સોનુ આપવાનું કહી 28 લાખ પડાવી લીધા હતા.જેમાં એલસીબીએ કાર્યવાહી કરી ત્રણેય ચીટરો પાસેથી ઠગાઈમાં ગયેલા રૂપિયા કબ્જે કરી રાજસ્થાનના વેપારીને પરત આપવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ ગત 24 ડીસેમ્બરના બ્યાવરના ફરિયાદી નિત્યાનંદ ઉપાધ્યાયે એલસીબીનો સંપર્ક કર્યો હતો અને આરોપી રીયાઝ શેખ જેનું સાચુ નામ હુશેન ઉર્ફે ભાભા ત્રાયા,ભાવેશ સોની જેનું સાચુ નામ સલમાન ગુલામશા સૈયદ તથા અંકુર જોષીએ કાવતરૂ રચી બજાર ભાવ કરતા સસ્તુ સોનુ આપવાની લાલચ આપી ફરીયાદી પાસેથી રૂપીયા 28 લાખ પડાવી લીધા હતા. જે બાદ આરોપીઓએ રૂપિયા કે સોનુ ફરિયાદીને આપ્યું ન હતું.જે બાબતે ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.એલસીબીએ ગુનાની તપાસ કરી આરોપીઓને ઝડપી લીધા હતા અને ઠગાઈ કરેલી રકમ રૂપિયા 28 લાખ કબ્જે કરી કોર્ટના હુકમ મુજબ ફરિયાદી નિત્યાનંદ ઉપાધ્યાયને બોલાવી ઠગાઇમાં ગયેલ પુરેપુરી રકમ પરત કરી “તેરા તુજકો અર્પણ” સુત્રને સાર્થક કર્યો હતો.
દુર્ઘટના:શેલ્ટર હોમની ઇલેકટ્રિક ડીપીમાં ફસાયેલો પતંગ કાઢવા જતા કરંટથી કિશોરનું મોત
પાલનપુર જકાતનાકા પ્રશાંત સોસાયટી નજીક પાલિકાના શેલ્ટર હોમમાં ઇલેક્ટ્રિક ડીપીમાં ફસાયેલો પતંગ કાઢવા જતા 13 વર્ષીય કિશોરનું કરંટ લાગવાની સાથે પગમાં લોખંડનો સળીયો ઘુસી જતા મોત નીપજ્યું હતું. ગંભીર રીતે ઈજાગ્રસ્ત કિશોરને સિવિલ હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટુંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. રાજસ્થાનના વતની અને પાલનપુર જકાતનાકા, ઉગત કેનાલ રોડ પ્રશાંત સોસાયટી નજીક રહેતા પુરણચંદ મીત્તલ સચિનમાં નાસ્તાની લારી ચલાવે છે. તેમનો 13 વર્ષીય પુત્ર ગૌતમ થોડો સમય પહેલા જ સુરત આવ્યો હતો અને ઓનલાઈન અભ્યાસ કરતો હતો. મંગળવારે સાંજે ગૌતમ પતંગ ચગાવતો હતો. દરમ્યાન પતંગ પ્રશાંત સોસાયટીની નજીક આવેલા પાલિકાના આશ્રય સ્થાનના કેમ્પસમાં ડીપીમાં ફસાઈ ગયો હતો. ગૌતમ ડીપીમાં ફસાઈ ગયેલો પતંગ કાઢવા માટે ડીપી પર ચડી ગયો હતો. જેમાં તેને કરંટનો જોરદાર ઝાટકો લાગ્યો હતો અને ફેંકાઈ ગયો હતો. સિવિલ બાદ કિરણ હોસ્પિટલ ખસેડાયો હતોગૌતમ ફેંકાઈને કંપાઉન્ડ વોલના સળીયા પર પટકાયા બાદ નીચે પટકાયો હતો. જેમાં તેને પગમાં સળીયો પણ વાગ્યો હતો. કરંટ લાગવાથી દાઝી જવાની સાથે પગમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત ગૌતમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ બાદ કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટુંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા રાંદેર પોલીસ હોસ્પિટલ પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
બેઠક:બે વર્ષ બાદ ભુજમાં કરવામાં આવશે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી
2023 બાદ હવે 2026ના પ્રજાસત્તાક પર્વની ઉજવણી જિલ્લા મથક ભુજ ખાતે થવાની છે. તે બાબતે કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને ઉજવણીના આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લાકક્ષાના ઉજવણીના અનુસંધાને વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરે સરકારી ઇમારતોની રોશની, કાર્યક્રમ સ્થળની વ્યવસ્થા, સાફ-સફાઈ, ફાયર સેફ્ટી, પાર્કિંગ, મેડિકલ સુવિધા તેમજ વિવિધ વિભાગોના ટેબ્લો અંગેની વિગતો મેળવી હતી અને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ ભવ્ય અને સુચારુ રીતે સંપન્ન થાય તે માટે તમામ વિભાગોએ સંકલન સાથે કામગીરી કરવાની સૂચના આપવામાં આવી હતી. નિવાસી અધિક કલેક્ટર ડી.પી. ચૌહાણે પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને તમામ કામગીરી સમયસર અને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા માટે સંબંધિત વિભાગોના અધિકારીઓને ખાસ સૂચનાઓ આપી હતી. જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં વિવિધ કચેરીઓ દ્વારા આકર્ષક ટેબ્લો રજૂ કરવામાં આવશે. સાથે સાથે દેશભક્તિની થીમ પર વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ અને પોલીસ વિભાગ દ્વારા માર્ચ પાસ્ટ પરેડનું આયોજન કરવામાં આવશે. આ તમામ કાર્યક્રમો માટે સુચારુ વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવા અંગે માર્ગદર્શન અપાયું હતું. બેઠકમાં કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ અને નોંધપાત્ર કામગીરી કરનાર જિલ્લા કક્ષાના કર્મચારીઓ તથા અધિકારીઓના સન્માનનું આયોજન કરવાની પણ સૂચના આપવામાં આવી હતી. આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ સહિત જિલ્લા વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે 2023માં સ્મૃતિવન ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ હતી.
આજે મકરસક્રાંતિ:આજે ગગન અનેક રંગે રંગાશેેેે... ગાજશે
ઉતરા- યણ એટલે સૂર્યનું દક્ષિણથી ઉત્તર તરફનું ગમન. આજથી સૂર્ય ઉત્તર દિશામાં પ્રયાણ કરશે અને દિવસો ધીમે ધીમે લાંબા થવા લાગશે. મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે આજે ભુજ શહેરમાં ઉત્સાહ અને આનંદનો માહોલ છવાઈ જશે. ભુજના આકાશમાં આજે ત્રણ લાખથી વધુ રંગબેરંગી પતંગો ચગશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સવારથી જ ભુજની અનેક અગાસીઓ પર નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી પતંગ ચગાવવામાં વ્યસ્ત જોવા મળશે. ધાબાઓ પર પતંગ લડાવતાં યુવાઓની ભીડ જામશે અને સ્પીકર પરથી “ઢીલ દે..દે દે રે ભૈયા” જેવા લોકપ્રિય ગીતો ગુંજતા રહેશે. ઉતરાયણના આ તહેવારે પરિવારજનો સાથે મળીને તલ-સાંકળી, શેરડી, તલના લાડુ સહિતના પરંપરાગત વ્યંજનોનો રસાસ્વાદ લેવામાં આવશે. બપોરના ભોજનમાં જલેબી સહિતના મીઠાઈઓ અને અન્ય વાનગીઓ લોકોના થાળીમાં ખાસ સ્થાન લેશે. હવામાન વિભાગના અનુમાન મુજબ આજે પવન સામાન્ય રહેવાની શક્યતા છે અને ઠંડીનું પ્રમાણ પણ વધારે નહીં હોય, જેના કારણે પતંગોત્સવનો આનંદ બમણો થશે. પતંગના વેપારી પરેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે આ વર્ષે પણ પતંગોની ભારે માંગ જોવા મળી છે. ભુજમાં મોટી સંખ્યામાં પતંગો ચગતા નજરે પડશે. શહેરના વિવિધ વિસ્તારોમાં હંગામી સ્ટોલો પરથી મોડી રાત સુધી પતંગ અને દોરાની ખરીદી થઈ હતી
વાતાવરણ:ઉત્તરાયણમાં પતંગને ઠુમકા મારવાની જરૂર નહીં પડે, પવન 8થી 20 કિમી સુધીની ઝડપે ફૂંકાવાની આગાહી
સુરતમાં ઉત્તરાયણનો તહેવાર એટલે માત્ર પતંગબાજી જ નહીં પણ એક અનોખો ઉત્સાહ અને આનંદનો મહોત્સવ છે. ઉત્તરાયણને લઇ સુરતીઓ આ પર્વની ધામધૂમથી ઉજવણી કરવા માટે થનગની રહ્યા છે. આ સાથે ઠંડીનો ચમકારો પણ જોવા મળશે. ઉત્તરાયણમાં 16 ડિગ્રી તો વાસી ઉત્તરાયણમાં 13 ડિગ્રી સુધી કડકડતી ઠંડી પડવાની આગાહી કરાઇ છે. આ વર્ષે હવામાનના અંદાજ મુજબ, 14 અને 15 જાન્યુઆરી દરમિયાન સુરતમાં પવનની ગતિ પતંગબાજી માટે સાનુકૂળ રહેવાની શક્યતા છે. વહેલી સવારે પવનની ગતિ સામાન્ય રીતે 8થી 20 કિમી પ્રતિ કલાક રહેવાની ધારણા છે, જે પતંગ ચગાવવા માટે ઉત્તમ છે. બપોરે પવન થોડો ધીમો પડી શકે છે, પરંતુ ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાતો પવન પતંગને આકાશમાં સ્થિર રાખવામાં મદદ કરશે. સાંજના સમયે પવનની લહેરખીઓ વધતા આકાશ આકર્ષક અને રંગબેરંગી પતંગોથી ભરાઈ જશે. વાહનો માટે બ્રિજ બંધ, BRTS બસો પણ બંધ, 15મીએ પણ 30% બસો દોડાવાશેકોરિડોરમાં થતાં અકસ્માતો નિવારવા BRTS બસ સંપૂર્ણ બંધ રહેશે. 15મીએ 70 ટકા કાપ રહેશે.વરાછા-સીમાડા રૂટ: શહેરમાં સૌથી ગીચ વસ્તી હોવાથી વધુ પ્રમાણમાં પતંગો ચગાવાય છે. ઉધના, મગદલ્લા, પાંડેસરા સૌથી લાંબો કોરિડોર ઉત્તરાયણે પવન સારો રહેશે, વાસી ઉત્તરાયણે ધીમો પડશે સમય 14મીએ પવન 15મીએ પવન 6થી 8 9-20 8-17 8થી 10 9-19 8-17 10થી12 10-19 8-19 12થી 2 11-23 9-18 2થી 4 11-24 9-18 4થી 6 10-20 9-21 6થી8 9-20 9-21
ઉત્તરાયણ સિરિઝ-4:ઉત્તરાયણ પર બમણો થઇ જાય છે ફેમિલી ટાઇમ; 65% પરિવાર સાથે 4થી 5 કલાક વિતાવે છે
ઉત્તરાયણ પર લોકો દ્વારા પરિવાર સાથે વિતાવાતા સમયમાં મોટો બદલાવ આવ્યો છે. ભાસ્કર દ્વારા રાજ્યના નાના-મોટા 12 શહેરમાં કરાયેલા સરવે જાણવા મળ્યું છે કે, 65% લોકો ઉત્તરાયણ પર સામાન્ય દિવસો કરતાં બમણો સમય પરિવાર સાથે વિતાવે છે. તેઓ સરેરાશ 4થી 5 કલાક પરિવાર સાથે ગાળે છે, જ્યારે સામાન્ય દિવસોમાં કે શનિ-રવિના દિવસે સરેરાશ 2 કલાક જ પરિવાર સાથે વ્યતિત કરતા હોય છે. સરવેમાં પૂછાયું હતું કે ઉત્તરાયણ પર પરિવાર સાથે સૌથી વધુ સમય શેમાં વિતાવો છો?, સૌથી વધુ 65% લોકોએ કહ્યું તેઓ હસી મજાક કે જૂની વાતો-કિસ્સા યાદી કરીને સમય પસાર કરે છે. 84% લોકોએ જણાવ્યું કે આ તહેવાર પર 2 કે 3 પેઢી ભેગી થાય છે. પરિવાર સાથે વાત કરીને દર ત્રણમાંથી બીજો વ્યક્તિ હળવાશ અનુભવે છે. સરવેમાં ઓનલાઇન ફોર્મ દ્વાર 3 હજાર લોકો સામેલ થયા હતા. 2 કે 3 પેઢી સાથેઃ પરિવારની કેટલી પેઢી સાથે ઉત્તરાયણ મનાવે છે? તેમાં 56% કહ્યું કે તેઓ માતા-પિતા સાથે અને 28% કહ્યું દાદા દાદી સાથે ઉત્તરાયણ ઊજવે છે. 13% પરિવારમાં પતિ-પત્ની એકલા અને 3% પરિવારમાં ચોથી પેઢી સાથે મનાવે છે. અડધા કરતાં વધુ સંબંધીના ઘરેઃ 62% લોકોએ જણાવ્યું કે, તેઓ નજીકના સગા-સબંધીના ત્યાં ઉત્તરાયણ મનાવવા જાય છે. ત્રીજા ભાગના લોકોએ કહ્યું કે તેઓ પોતાના ઘરે જ આ તહેવારની ઉજવણી કરે છે. 20% કહ્યું કે દોસ્તો સાથે મનાવે છે. આ તહેવાર જ એવો છે કે ભેગા થઇએ તો જ મજા આવેઉત્તરાયણમાં પરિવાર સાથે વધુ સમય વિતાવા મળે છે તેનું સૌથી મોટું પ્રાથમિક છે કે આ તહેવારમાં બહાર જવાની જરૂર પડતી નથી. આ તહેવાર ઘરના વડીલો ભેગા થવાની આનંદ બમણો થઇ જાય છે. ઉત્તરાયણ ઘરે રહીને ઊજવવાનો તહેવાર વધુ છે, જ્યારે દિવાળી, નવરાત્રીમાં લોકો બહાર જવાનું વધુ પસંદ કરે છે. ઘણી વાર બે-ત્રણ પરિવાર સાથે મળીને ઉત્તરાયણની પણ ખરીદી કરતાં હોય છે. અગાસીમાં કોઇ એકનો પતંગ કપાય તો આખો પરિવાર કાપ્યો છે તેની ચિચિયારીઓ પાડતા હોય છે. એક-બે દિવસનો તહેવાર હોવાથી અન્ય તહેવાર કરતાં આર્થિક જરૂરીયાત પણ ઓછી હોય છે. તેથી પરિવારો પણ ભેગા થાય છે. - ડૉ. ઝવેર પટેલ, નિવૃત્ત અધ્યાપક-HoD, સમાજશાસ્ત્ર વિભાગ, ગુજરાત યુનિ., એક્સપર્ટ
પતંગ અને દોરાના વેચાણની શરૂઆ:સુરેન્દ્રનગર: ઉત્તરાયણની પૂર્વ રાત્રે પતંગો ઓછા ભાવે ખરીદવા ભીડ ઉમટે છે
સુરેન્દ્રનગરની બજારમાં 10થી વધુ દિવસથી પતંગ અને દોરાના વેચાણની શરૂઆત થઇ ગઇ છે. સામાન્ય રીતે રૂ.25થી લઇને રૂ.200 સુધીના પતંગના પંજાની સાથે રૂ.150થી લઇ રૂ.500 સુધીમાં ચાઇનીઝ મોટા પતંગ બજારમાં વેચાતા હતા. પૂરતો સ્ટોક રાખનારા વેપારીઓએ અંતિમ દિવસે પતંગના ભાવમાં 10 ટકા જેટલો ઘટાડો કર્યો હતો. જે પંજો રૂ.25માં વેચતા હતા તેનો ભાવ ઘટાડી રૂ.20 કરી દીધો હતો.જયારે મોટા પતંગના રૂ.200ના પંજાના રૂ.150થી લઇને રૂ.180 કરી દીધા હતા.સુરેન્દ્રનગર શહેરમાં રહેતા લોકો મોટા ભાગે રાત્રે જ પતંગની ખરીદી કરવાનું પસંદ કરે છે.તેનુ મુખ્ય કારણ રાત્રે પતંગના ભાવમાં ઘટાડો થતો હોય છે.વેપારીઓએ અગાઉ નફો રળી લીધો હોય છે.આથી પતંગ અને દોરાને એક વર્ષ સુધી સાચવવા ન પડે તે માટે ઓછો નફો લઇને પણ વેચી દેતા હોય છે.
અકસ્માત:મણિનગરમાં ટૂવ્હીલરની ટક્કરથી રાહદારીનું મૃત્યુ
મણિનગરની એકા ક્લબ પાસેના હિટ એન્ડ રનના બનાવમાં રાહદારી યુવકને ટૂવ્હીલર ચાલકે ટક્કર મારતાં ગંભીર ઈજાગ્રસ્ત યુવકને ટૂવ્હીલર ચાલક રિક્ષામાં બેસાડી હોસ્પિટલ લઈ જઈ, ત્યાં મૂકી ફરાર થયો હતો. ટૂંકી સારવાર બાદ ઈજાગ્રસ્ત યુવકનું મોત થયું હતું. આ અંગે ટ્રાફિક પોલીસે ફરાર ટુવ્હીલર ચાલક સામે ગુનો નોંધી તપાસ આદરી છે. દાણીલીમડાના કલરકામ કરતા નૂરનબી પઠાણ (41) ગત 27 ડિસેમ્બરે કાંકરિયા ખાતેના વાણિજ્યભવન પાસે એક ફ્લેટમાં કલરકામ પતાવી સાંજે ચાલતા ઈકા ક્લબના ગેટ નં.6 પાસેથી પસાર થતા હતા. ત્યારે ઓવરસ્પીડે આવેલા ટુવ્હીલરચાલકે તેમને ટક્કર મારતા રસ્તા પર પટકાયેલા નૂરનબી ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ ટુવ્હીલર ચાલક જ તેમને રીક્ષામાં બેસાડીને હોસ્પિટલ લઈ ગયો, જે ત્યાંથી જ ફરાર થયો હતો. ટૂંકી સારવાર બાદ ફરજ પરના ડોક્ટરે નૂરનબીને મૃત જાહેર કર્યા હતા. આ અંગે કે-ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર ટુવ્હીલરચાલક સામે ગુનો નોંધી તપાસ આદરી છે.
કાર્યવાહી:કાપડના 3 વેપારીનો 2.64 કરોડનો માલ લઈ પૈસા ન આપતા દિલ્હીના વેપારીની ધરપકડ
કાપડના વેપારીઓ ઉધારીમાં ધંધો કરી રહ્યાં છે પરંતુ હવે છેતરપિંડીના કિસ્સાઓમાં વધારો થયો છે. કાપડના વેપારીઓ સાથે બની રહેલી ઘટનાઓને લઇને શહેરનું વર્ષો જૂનું મસ્કતી કાપડ મહાજન અનેક પ્રયાસોના કારણે મોટા પાયે અંકૂશ લાવ્યા છે. તાજેતરમાં શહેરના ત્રણ કાપડના વેપારીઓના રૂ. 2.64 કરોડનો માલ લઇને દિલ્હીનો વેપારી રકમ આપતો ન હોતો. મહાજને રાખેલા ખાસ જાસૂસોની મદદ અને આર્થિક ગુના નિવારણ શાખામાં (ઇઓડબ્લ્યુ)ફરિયાદ થતા તેને ખાટુ શ્યામથી ધરપકડ કરી લેવામાં આવી છે. દિલ્હીમાં ગાંધીનગર કાપડ માર્કેટમાં નંદપ્રિયા ફેબ્રિક્સ નામની પેઢી ચલાવતા ડાયરેકટર સંજય પાંડે અને નિરુપમાં પાડે વર્ષે 2019માં શહેરના સારંગપુર ખાતે શ્રીજી કલોથ માર્કેટમાં કનોડીયા નામથી ડેનિમનું કામ કરતા નિરવ મહેન્દ્રભાઇ કનોડિયા પાસે માલની ખરીદી કરવા આવ્યા હતા. સંજય પાંડે ડેનીમના માલની ખરીદી કરીને પેમેન્ટ આપતા હતા. 2019થી 2022 સુધીમાં ટુકડે ટુકડે રૂ. 8.34 કરોડના કાપડની ખરીદી કરીને રૂ. 6.76 કરોડની રકમ ચુકવી આપી હતી. જ્યારે રૂ. 1.58 કરોડની રકમ તેમની બાકી આપતો ન હોતા. જેને લઇને નિરવ કનોડિયાએ મસ્કતી કાપડ મહાજનમાં ફરિયાદ કરી હતી. મસ્કતી કાપડ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યું કે, લવાદ કમિટીમાં ઉપસ્થિત રહેવા અનેક વખત નોટીસ આપવા છતાં સંજય પાંડે હાજર રહેતા ન હોતા. અંતે મહાજને દિલ્હીના વેપારી સામે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ કરાવડાવી હતી. આ ફરિયાદ બાદ શહેરના અન્ય વેપારી નારોલના કલારિધાન ટ્રેન્ડસ લીના માલીક આદિત્ય નિરંજન અગ્રવાલના રૂ. 74. 15 લાખ અને સુમેલ બીઝનેશ પાર્ક-1માં આવેલી એસ.આર.ડી. ટેક્સટાઇલ મીલ્સના માલીક રમેશભાઇ તાયલે રૂ. 31. 85 લાખની ફરિયાદ નોંધાવી હતી. આમ કુલ રૂ. 2.64 કરોડનું સંજય પાંડે ફુલેકું ફેરવીને ભાગતો ફરતો હતો. તાજેતરમાં પોલીસને મળેલી માહિતીના આધારે તેને ખાટુશ્યામથી વહેલી સવારે ધરપકડ કરવામાં આવ્યો હતો.
છેતરપિંડી:ઈ-ચલણના નામે APK ફાઇલ મોકલી રૂ.20.05 લાખ પડાવ્યા
વોટ્સ એપ ગ્રૂપમાંથી એક મેમ્બરનો ફોન હેક કરીને ગ્રૂપમાં જ આરટીઓ ઈ-ચલણના નામે એપીકે ફાઇલ મોકલીને ગઠિયાએ પાણી પુરવઠા બોર્ડના નિવૃત્ત અધિકારી પાસેથી રૂ. 20.05 લાખ પડાવ્યા હતા. ફાઈલ ઓપન કરતાં જ ફોનમાં એમ-પરિવહન નામની એપ્લિકેશન ખુલી ગઈ હતી. ત્યાર બાદ સાઇબર ગઠિયાઓએ 5 ટ્રાન્ઝેક્શનથી પૈસા પડાવી લીધા હતા. નિકોલમાં વેદાન્ત ઇન્ટરનેશનલ સ્કૂલ પાછળ રહેતા અશોકભાઈ વનરા (63) પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાંથી 2021માં નિવૃત્ત થયા હતા. અશોકભાઈ છોટા ઉદેપુર સ્પોર્ટ નામના એક વોટ્સ એપ ગ્રૂપમાં છે. તે ગ્રૂપના મેમ્બર દિનેશભાઈનો નંબર ડીએસડીઓ નામથી સેવ કરેલો હતો. તે નંબર પરથી ગ્રૂપમાં 9મીએ એક એપીકે ફાઇલ આવી હતી. જ્યારે તે જ નંબર પરથી તેમના બીજા વોટ્સએપ ગ્રૂપ નસાવાડી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પણ એક એપીકે ફાઈલ આવી હતી. તે ફાઈલ અશોકભાઈએ જોતાં તે ફાઈલ આરટીઓ ઈ-ચલણ. એપીકે નામની હતી. જોકે બીજા દિવસે તા. 10મીએ તેમણે તે ફાીલ ફરીથી જોતાં તેમનું જૂનું કોઈ આરટીઓનું ચલણ ભરવાનું બાકી હશે, તેવું માનીને તેમણે તે ફાઈલ ઓપન કરતાં ફાઈલ તેમના ફોનમાં ડાઉનલોડ થઈ હતી. તે ફાઈલ અશોકભાઈએ ઓપન કરીને જોતાં એમ-પરિવહન નામની એપ્લીકેશન ખૂલી હતી. જ્યારે 2 દિવસ પછી એટલે તે તા. 12 જાન્યુઆરીએ અશોકભાઈ ફોનમાં બૅન્ક બેલેન્સ ચેક કર્યું તો રૂ. 20 લાખ જેટલું બેલેન્સ ઓછું હતું. જેથી તેમણે બેંકમાં જઈને તપાસ કરી તો તેમના એકાઉન્ટમાંથી 5 ટ્રાન્જેકશનથી રૂ.20.05 લાખ ઉપડી ગયા હતા. જેથી આ અંગે અશોકભાઈએ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે દિનેશભાઈએ ગૃપમાં ફાઈલ મોકલી હોવાથી અશોકભાઈએ તેમને ફોન કરીને પૂછતા દિનેશભાઈએ કહ્યું હતુ કે તેમનો જ ફોન કોઈએ હેક કરી દીધો છે.
હડતાળ:ઉત્તરાયણ પહેલાં જ એકતા નગરમાં ઇ-બસોના 127 ડ્રાઇવરો હડતાળ પર
ઉત્તરાયણ પહેલાં જ 55 ઇ-બસોના 127 જેટલા ડ્રાઇવરો અચાનક હડતાળ પર ઉતરી જતાં પ્રવાસીઓ અટવાય ગયાં હતાં. ખાસ કરીને ટ્રેન અને બસમાં કેવડિયા આવેલાં પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. પગારમાં વધારા સહિતની માગણીઓ પૂર્ણ કરવામાં નહિ આવતાં ડ્રાઇવરોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કર્મચારીઓની જગ્યાઓ ભરતી બાહ્ય કંપનીઓ સ્થાનિકોનું શોષણ કરે છે પગાર ઓછો આપે છે ત્યારે બે ત્રણ મહિનાથી પગાર થતો નથી. પ્રવાસીઓને વિવિધ પ્રવાસન સ્થળ પર લઇ જતી ઈ બસોની સેવા આજે ખોરંભે પડી હતી. ઉતરાણ પર્વ ટાણે પગાર અને બીજી કેટલી માંગણી ને લઈને 55 ઈ બસ ના 127 જેટલા ડ્રાઈવરો એક સાથે તમામ હડતાલ પર ઉતારી જતા એકતાનગર ખાતે ચાલતી ઈ બસોના પૈડાં થભી ગયા હતા. જેની અસર સીધી પ્રવાસીઓ પર પડી હતી. પ્રવાસીઓએ એસઓયુની ટિકિટ ખરીદી હોવા છતાં તેમને ખાનગી વાહનોમાં ભાડા ખર્ચીને એસઓયુ સુધી પહોંચવાની ફરજ પડી હતી. જે પ્રવાસીઓ પોતાના ખાનગી વાહનો લઈને આવ્યા હતા તેમને કોઈપણ તપાસ કે ચેકીંગ વગર છૂટો દોર આપી દેવામાં આવ્યો હતો.આમ અન્ય દિવસોમાં પ્રવાસીની એક ગાડીને ચાર જગ્યા એ ચેકીંગ કરવામાં આવતી હોય છે જેનાથી પણ પ્રવસીઓ કંટાળી જાય છે.ઈ બસોના ડ્રાઈવરોના હડતાલ ને લઈને તમામ ચેકપોસ્ટો ખુલ્લી મૂકી દેવામાં આવી હતી જ્યાં ફરવું હોય ત્યાં કોઈ રોકટોક પણ નહોતી જોવા મળી . હજુ આ બસ ડ્રાઈવરો એ હડતાલ સમેટી નથી અને આજે ઉતરાયણ પર્વ હોય પ્રવસીઓની સંખ્યામાં વધારો નોંધવાનો ત્યારે તંત્ર બસ ડ્રાઈવરોને સમજાવવાના પ્રયાસો તંત્ર કરી રહ્યું છે.

29 C