SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

30    C
...

ગુજરાતના રેસ્ટોરન્ટ-ખાણીપીણીની લારીવાળા ચિંતામાં મૂકાયા:કોમર્શિયલ સિલિન્ડરનો સપ્લાય ખોરવાયો, રાજ્યના 10 હજાર ધંધાર્થીઓને અસર થઈ શકે છે

ઈરાન સાથે અમેરિકા-ઈઝરાયના ચાલી રહેલા યુદ્ધની અસર દુનિયાભરમાં દેખાવા લાગી છે. ગુજરાતમાં કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરતા રેસ્ટોરન્ટ અને લારીવાળાઓની મુશ્કેલીમાં પણ રાતોરાત વધારો થયો છે. ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના મતે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય ખોરવાતા જે રેસ્ટોરન્ટ પાસે પાઈપ ગેસની સુવિધા નથી તેઓની મુશ્કેલી વધી છે.કેટરર્સ સંચાલકોએ પણ પોતાના ઓર્ડર પૂરા કરવા મુશ્કેલ બની શકે છે. કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય બંધ થતા રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર કેવી અસર થશે તે જાણવા અમે ગુજરાત હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ અને અન્ય હોદેદારો સાથે વાતચીત કરી હતી. જોકે રાજ્ય સરકારે કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય બરોબર હોવાની હૈયાધારણા આપી છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો પુરવઠો ખોરવાતા હોટલ-રેસ્ટોરન્ટ પર અસરઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની હવે ગુજરાતમાં અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે. વાસ્તવમાં ગુજરાતના અનેક શહેરોમાં કોમર્શિયલ સિલિન્ડરનો પુરવઠો ખોરવાઈ ગયો છે. જેની સીધી અસર હોટલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ તેમજ ફરસાણના કારખાનાઓ પર પડી રહી છે. જો કે અન્ય રાજ્યમાં કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય પર રોક લગાવી દેવામાં આવતા ઘણા બધા હોટલ બંધ થઈ ગયા છે. જો કે હવે અમદાવાદમાં પણ આવી સ્થિતિ માત્ર બે દિવસમાં સર્જાય તો પણ નવાઈ નથી. હોટલ સંચાલકોના જણાવ્યા અનુસાર કોઈને પણ અંદાજ ન હતો કે સપ્લાય બંધ થઈ જશે જેથી કોઈએ પણ સ્ટોક કરી રાખ્યો નથી. જરૂર હોય તે પ્રમાણે લોકો મંગાવીને ઉપયોગ કરતા હતા. જેથી હવે અચાનક સપ્લાય બંધ થઈ જતા હોટલ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. જે હોટલ-રેસ્ટોરન્ટમાં ગેસ લાઈન નથી તેની મુશ્કેલી વધશેરેસ્ટોરન્ટ બિઝનેસને ગેસ લાઇનથી ગેસ સપ્લાય થાય છે. જેથી મોટી રેસ્ટોરન્ટ કે ગેસ સિલિન્ડરની અછતની કોઈ અસર નહીં થાય. પરંતુ નાના રેસ્ટોરન્ટ અને કેટર્સ બિઝનેસ જે કોમર્શિયલ બોટલથી ચાલે છે એમને વધારે અસર થવાની છે. અમદાવાદમાં 10 હજાર જેટલા નાના રેસ્ટોરન્ટ અને કેટર્સ વેપારીઓના ધંધાને અસર થશે. આગામી બે દિવસમાં સપ્લાય નહીં થાય તો હોટલ અને રેસ્ટોરન્ટ બંધ પણ થઈ શકે છે. કોમર્શિયલ સિલિન્ડરોની સપ્લાય નહીં મળે તો હજારો લોકોની રોજગારી છીનવાઈ શકે છે. વહેલી તકે સપ્લાય શરૂ નહીં કરાય તો કોરોના જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે તેવી ચિંતા હોટલ સંચાલકો કરી રહ્યા છે. હોટલ-રેસ્ટોરન્ટના મેનુમાં ફેરફાર કરવા પડે તેવી જો કે તેનાથી બચવા માટે પણ કેટલા હોટલ સંચાલકોએ અને નાના નાના ખાણીપીણીના દુકાનદારોએ રસ્તાઓ કાઢવાની તૈયારી શરૂ કરી દીધી છે. હોટલ સંચાલકોએ મેનુ બદલવાનો અને ઓછો ગેસ વપરાય તેવા ખોરાક બનાવવામાં નિર્ણય કર્યો છે. જે ખોરાક બનાવવામાં ગેસનો વધારે વપરાશ થતો હોય તેવી વસ્તુઓ બંધ કરી દેવામાં આવશે. તેમજ જો સપ્લાય નહીં મળે તો કોરોના સમયગાળા જેમ એક ટાઈમ હોટલ ચાલશે, તો કેટલીક હોટલ બંધ થાય તો પણ નવાઈ નહીં. જેથી વહેલી તકે કોમર્શિયલ સિલિન્ડર સપ્લાય શરૂ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં 20 થી 30 ટકા હોટલ-રેસ્ટોરન્ટ સિલિન્ડર પર ચાલે છે- નરેન્દ્ર સોમાણીગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રભાઈ સોમાણીએ જણાવ્યું હતું કે, કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય જ બંધ થઈ ગઈ છે. એટલે સૌથી મોટો પ્રશ્ન છે કે જે નાની રેસ્ટોરન્ટ જે ગેસ જે ગેસ લાઈન પર નથી ચાલતી એમના માટે મોટી મુશ્કેલી સર્જાવાની છે. ગુજરાતમાં 70 થી 80 ટકા હોટલો ગેસ લાઈન ઉપર ચાલે છે પણ 20 થી 30 ટકા જે રેસ્ટોરન્ટો છે એ ગેસ સિલેન્ડર ઉપર ચાલે છે. નાના ગલ્લા ગેસ સિલિન્ડર એના પર ચાલે છે એ અત્યારે સિલિન્ડર મળતા બંધ થઈ ગયા છે. કંપનીમાં અને બે ત્રણ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટર વાત કરી એમણે કીધું કે કોમર્શિયલ સિલિન્ડર સસ્પેન્ડ કરી રાખવામાં આવ્યા છે. જેથી સિલિન્ડર ઉપર ચાલતા નાના રેસ્ટોરન્ટ અને લારી ગલ્લા ધીરે ધીરે બંધ થવાની શરૂઆત થઈ ગઈ છે. બે દિવસમાં એની મોટી અસર દેખાશે. નાના રેસ્ટોરન્ટ વાળા અને લારી ગલ્લાવાળા ગુજરાતમાં બંધ થઈ જશે. વધુમાં નરેન્દ્રભાઈ સોમાણીએ જણાવ્યું હતું કે, સ્ટોક તો દરેક નાના રેસ્ટોરન્ટ વાળા કોઈ એક બાટલો રાખતો કે બે બાટલા રાખતો હોય કે ત્રણ બાટલા રાખતા એનાથી વધારે નાના રેસ્ટોરન્ટ વાળો સ્ટોક રાખે નહી. કારણ કે જગ્યાનો જ બહુ મોટો પ્રશ્ન હોય છે. અત્યારે સરળતાથી મળી રહેતા હતા એટલે પહેલા શું હતું કે એક જમાનો હતો. કલાકમાં સિલિન્ડર તમને કોમર્શિયલ મળી જતા હતા. સૌથી વધારે અસર કેટરીંગ ધારકોને થવાની છે. કારણ કે જે લોકોએ લગ્નના પ્રસંગ લઈ લીધા છે તે લોકો પ્રસંગ કઈ રીતે પૂરો કરશે તે પણ મોટો સવાલ છે. કેટરર્સ માટે હવે મોટી આફત શરૂ થઈ ગઈ છે. માણેકચોક લો ગાર્ડન સહિતની મોટી મોટી ખાણીપીણી બજાર ગેસ સિલિન્ડર પર ચાલે છે જેથી તે તમામ બંધ થઈ જશે. અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે સપ્લાય જે બંધ કરવામાં આવી છે તે વહેલી તકે શરૂ કરવામાં આવે. નહીતો બહુ મોટો પ્રશ્ન ઉભો થવાનો છે. કોમર્શિયલ સિલિન્ડરનો સપ્લાય સંપૂર્ણ બંધ થયો- દિલીપ ઠક્કરકો ચેપ્ટર હેડ અમદાવાદ અને નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા દિલીપભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, આજે સ્થિતિ નોર્મલ છે, પરંતુ આવતીકાલથી ઘણા રેસ્ટોરન્ટ બંધ થઈ શકે તેવી સ્થિતિ સર્જાશે. કારણ કે કોમર્શિયલ સિલિન્ડરનો સપ્લાય સંપૂર્ણ બંધ થઈ ગયો છે. સરકાર દ્વારા કોમર્શિયલ સિલિન્ડર પર રોક લગાવી દેવામાં આવી છે. લોકોના ઘરના ચૂલા બંધ ન થાય તે માટે કોમર્શિયલ સિલિન્ડર પર સપ્લાય બંધ કરી દેવામાં આવી છે. અત્યારે તમામ લોકોને ગેસની આદત પડી ગઈ છે. જેથી કોમર્શિયલ સિલિન્ડર વગર રેસ્ટોરન્ટોને ખરાબ અસર થઈ શકે છે. અમદાવાદમાં અલગ અલગ 10 હજાર જેટલા યુનિટ છે. કોરોના સમયમાં લોકો એક ટાઈમ રેસ્ટોરન્ટ ચલાવતા હતા, કર્ફ્યુ જેવી પરિસ્થિતિ હતી તેમજ ખાલી હોમ ડિલિવરી ચલાવતા હતા તે રીતે આજના સમયમાં પણ હોટલ સંચાલકોને એવું કરવું પડશે. હોટલ બંધ કરવી પડે તેવી સ્થિતિ સર્જાશે તેવું કહેતા દિલીપભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, તો કેટલાક હોટલ સંચાલકોને રેસ્ટોરન્ટ પણ બંધ કરવી પડશે. તો કેટલાક લોકો પોતાના હોટલના મેનુમાં પણ ફેરફાર કરી શકે છે. તમામ લોકોએ ગેસનો ખોટો વપરાશ ન થાય તે રીતે કામ કરવું પડશે. ગેસનો વપરાશ ઓછો થાય તેવી વસ્તુઓ બનાવવી જોઈએ. એક સારું રેસ્ટોરન્ટ ઓછામાં ઓછા 30 જેટલા લોકોને રોજગારી આપતું હોય છે. જો ગેસ જ નહીં મળતો હોય અને હોટલ જ નહીં ચાલતી હોય તો પછી તે પોતાના માણસોને કઈ રીતે નોકરી પર રાખી શકશે. જેથી ગેસ સિલિન્ડરની સપ્લાય બંધ થતા રોજગારી પર પણ ખરાબ અસર થવાની છે. BPCએ કોમર્શિયલ સિલિન્ડરનું પ્રોડક્શન બંધ, સુરતમાં હોટલ-રેસ્ટોરન્ટના સંચાલકો મુશ્કેલીમાં સુરતના જાણીતા ગેસ ડિસ્ટ્રીબ્યુટર અને AR કોન્ટ્રાક્ટર્સના પ્રોપરાઈટર અજીતભાઈ પટેલે જણાવ્યું હતું કે, યુદ્ધની પરિસ્થિતિને કારણે ગેસના ઉત્પાદન પર વિપરીત અસર પડી છે. કંપની દ્વારા હાલમાં કોમર્શિયલ સિલિન્ડરનું ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું છે. આ અછત ક્યારે દૂર થશે તે કોઈ કહી શકતું નથી કારણ કે બધો આધાર યુદ્ધ કેટલો લાંબો સમય ચાલે છે તેના પર છે. આ વૈશ્વિક અનિશ્ચિતતાએ સ્થાનિક સ્તરે મોટા વેપાર-ધંધાને અસર પહોંચાડી છે. એક અંદાજ મુજબ, સુરત શહેરમાં દરરોજ સેંકડો કોમર્શિયલ સિલિન્ડરની જરૂરિયાત રહેતી હોય છે. અજીતભાઈ જણાવે છે કે તેમની એજન્સી પર જ દૈનિક 20 થી 50 જેટલા ગ્રાહકો કોમર્શિયલ સિલિન્ડરની માંગ સાથે આવે છે, પરંતુ જથ્થો ઉપલબ્ધ ન હોવાથી તેમને ખાલી હાથે પરત ફરવું પડે છે. ઘણા કિસ્સાઓમાં હતાશ થયેલા ગ્રાહકો ડિસ્ટ્રીબ્યુટર્સ સાથે ઘર્ષણમાં પણ ઉતરે છે, પરંતુ ડિસ્ટ્રીબ્યુટર્સ પણ કંપનીના સપ્લાય પર નિર્ભર હોવાથી લાચાર છે. હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર સંકટના વાદળોકોમર્શિયલ સિલિન્ડરની અછતને કારણે સૌથી વધુ અસર સુરતના ખાણી-પીણીના વ્યવસાયને થઈ રહી છે. હોટલ અને રેસ્ટોરન્ટમાં વપરાતા 19 કિલોના સિલિન્ડર ન મળવાને કારણે અનેક નાના એકમો બંધ થવાની કગાર પર છે. જો આગામી દિવસોમાં સપ્લાય યથાવત નહીં થાય, તો બહાર જમવાનું મોંઘું થઈ શકે છે અથવા તો વેપારીઓએ વૈકલ્પિક વ્યવસ્થા શોધવી પડશે. ઘરગથ્થુ ગ્રાહકોને ચિંતા કરવાની જરૂર નથીતંત્ર અને ડિસ્ટ્રીબ્યુટર્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સામાન્ય નાગરિકોએ ગભરાવાની જરૂર નથી. ડોમેસ્ટિક (14.2 કિલો) સિલિન્ડરનો પુરવઠો હાલ નિયમિત છે. કંપનીઓનું ધ્યાન અત્યારે પ્રાથમિકતાના ધોરણે ઘરગથ્થુ જરૂરિયાતો પૂરી કરવાનું છે. અછત માત્ર વ્યાપારી હેતુ માટે વપરાતા ગેસમાં જ જોવા મળી રહી છે, તેથી લોકોએ ખોટી રીતે સિલિન્ડરનો સંગ્રહ ન કરવા અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 12:05 am

બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્યના સીનસપાટા:180ની સ્પીડે કાર દોડાવી, મોંઘીદાટ ગાડીઓના કાફલા સાથે સ્ટંટ ને હથિયારથી ફાયરિંગ; વિદ્યાર્થી પર જીવલેણ હુમલા કેસમાં ફરાર

લો ગાર્ડન પાસે ખાનગી કોજલ બહાર અસારવાના બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્ય રાઠોડે તેના મિત્રો સાથે મળી કોલેજના વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો કરી ગાડીમાં તોડફોડ કરી હતી. જે મામલે નવરંગપુરા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. આરોપીનો 180ની સ્પીડે ગાડી ચાલવતો, મોંઘી ગાડીઓના કાફલા સાથે સ્ટંટ કરતો અને હથિયારથી ફાયરિંગ કરતો વીડિયો સામે આવ્યો છે, જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. કિશોર લંગડાના પૌત્રએ વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો કર્યોલો ગાર્ડન પાસે ખાનગી કોલેજની બહાર કિશોર લંગડાના પૌત્ર આદિત્ય રાઠોડે ફોર્ચ્યુનર કારમાં આવી સામે દેખવા જેવી બાબતે કોલેજની બહાર ઉભેલા વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. આદિત્ય રાઠોડે તેના મિત્રો સાથે મળીને થાર કારમાં તોડફોડ કરી અને ધારીયા વડે વિદ્યાર્થી પર હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, વિદ્યાર્થી નીચે ખસી જતા બચી ગયો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. આ અંગે નવરંગપુરા પોલીસે આદિત્ય રાઠોડ અને તેના મિત્રો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બનાવના લગભગ 30 કલાક બાદ પણ આરોપી પલોસી પકડથી દૂર છે. (સંપૂર્ણ સમાચાર અહીં વાંચો) ફોર્ચ્યુનર કારથી ટુવ્હીલરને ટક્કર મારતા ચાલકનું મોતઆરોપી આદિત્ય રાઠોડનો ગુનાહિત ઇતિહાસ રહી ચૂક્યો છે. આદિત્ય રાઠોડે અગાઉ શાહીબાગના સર્કિટ હાઉસ પાસે પૂર ઝડપે ફોર્ચ્યુનર કાર વડે એક ટુવ્હીલર ચાલકને ટક્કર મારી હતી. જેમાં ટુવ્હીલર ચાલકનું મોત નિપજ્યું હતું. (સંપૂર્ણ સમાચાર અહીં વાંચો) 180ની સ્પીડે મોંઘીદાટ કાર દોડાવી સ્ટંટ કર્યાઆદિત્યનો આ પહેલો કે બીજો ગુનો નથી, પરંતુ તે અગાઉ પણ મોંઘીદાટ કારને 180ની સ્પીડે દોડાવી સ્ટંટ કરતા જોવા મળ્યો હતો. ગાડીઓના કાફલા સાથે પણ સ્ટંટ કરી વીડિયો સોશિયલ મીડિયામાં રોફ જમાવવા મૂક્યા હતા. આદિત્યએ લોકોમાં તેનો ભય ફેલાવવા માટે હથિયાર વડે ફાયરિંગ કર્યું હોવાનો પણ વીડિયો સામે આવ્યો છે. આ તમામ વીડિયો સામે આવતા પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 12:05 am

ભાવનગર ડિસ્ટ્રીકટ બેંકનું સોફ્ટવેર હેક કરી 7 કરોડથી વધુની છેતરપિંડી:4 બ્રાન્ચમાંથી મોબાઈલ બેંકિંગથી પૈસા ઉપાડ્યા, સોફ્ટવેરની ખામીથી ફ્રોડ થયાનો ચેરમેનનો દાવો

ભાવનગર ડિસ્ટ્રીકટ કો.ઓપરેટિવ બેંકમાં સાયબર ફ્રોડની ગંભીર ઘટના સામે આવતા બેંકિંગ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. જેમાં ડિસ્ટ્રીક્ટ 'કો.ઓપરેટીવ બેન્કના ડેટા હેક' કરી સિક્યુરિટી સિસ્ટમ ને ક્રેક કરી સીદસર, સુભાષનગર, 'ભરતનગર અને તળાજા બ્રાંચમાંથી 7 કરોડથી વધુ રકમની સાઇબર ફ્રોડ થયા હોવાનો મામલો સામે આવ્યો છે. આ અંગેની જાણ થતા ભાવનગર હેડ ઓફીસ દ્વારા જિલ્લાની તમામ બ્રાંચોમાં બેન્કની કામગીરી સ્થગિત કરી દેવાઈ છે, અને મામલે વધુ તપાસ માટે બેંકની ટીમ ટેકનિકલ નિષ્ણાતો સાથે ગાંધીનગર પહોંચીને ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ‘રકમ 70-80 લાખને બદલે 7 કરોડથી પણ વધુ બતાવતી હતી’આ બનાવ અંગે ભાવનગર ડિસ્ટ્રીકટ કો.ઓપરેટિવ બેંકના ચેરમેન રસિકભાઈ ભીંગરાડીયાએ જણાવ્યું હતું કે, અમારી બેંકમાં સાયબર ફ્રોડ થયો છે, જેની જાણ અમને ગઈકાલે સોમવારે સવારે 10 વાગ્યે થઈ છે. સામાન્ય રીતે મોબાઈલ બેંકિંગમાં રજાના દિવસે 70થી 80 લાખ સુધીનું ટ્રાન્ઝેક્શન થતું હોય છે. શનિવારે સાંજે બેંક બંધ થયા પછી રવિવારે રજા હતી, અને સોમવારે સવારે 10 વાગ્યે અમારા સ્ટાફના મિત્રોએ જ્યારે ચેક કર્યું, ત્યારે આ રકમ 70-80 લાખને બદલે 7 કરોડથી પણ વધુ બતાવતી હતી. તેમણે તરત જ CEOને જાણ કરી. ‘ચાર બ્રાન્ચમાંથી એક એક નામથી ટ્રાન્સકેઝસન થયું’ભીંગરાડીયાએ વધુમાં કહ્યું કે, આમાં સ્ટાફની કોઈ સંડોવણી નથી, આ સોફ્ટવેરની ખામી છે. સોફ્ટવેરની મુખ્ય ચાવી કંપની પાસે હોય છે. એ અમારા ceo કે જનરલ મેનેજર કે મારી પાસે ન હોય, જે ડેટા નખાવાયેલો હોય એટલું જ કામ થતું હોય, અને આમા જે ફ્રોડ થયું છે એ માત્ર ચાર બ્રાન્ચમાંથી એક એક નામથી થયું છે. ‘ત્રણ-ત્રણ કરોડના એક નામે રકમ ઉપાડી’તેને વધુમાં કહ્યું હતું કે, એમાં ખાસ કરીને જે મોબાઇલ બેન્કિંગમાંથી પાંચ લાખથી વધારે થતું હોય નહીં કોઈનું ન થઈ શકે, અમારી 88 બ્રાન્ચમાંથી ક્યાંથી ના થઈ શકે, એ સોફ્ટવેરમાં નખાવેલું હોય. તેમ છતાં ત્રણ-ત્રણ કરોડના એક નામે રકમ ઉપડી છે. એટલે એ સોફ્ટવેરની ચાવી કોઈ જાણકાર વ્યક્તિ કે ભેજાબાજ માણસોથી થઈ શકે છે. આમાં જેના ખાતામાં રૂપિયા હોય એનાથી ઓછા ઉપડે, વધારે ઉપડે નહીં. કદાચ કોઈના ખાતામાં ₹1,000 પડ્યા હોય તો 1,000 જ ઉપડે. જેમાં એક ખાતામાં 2000 રૂપિયા પડ્યા હતાં, એ ખાતામાંથી ત્રણ કરોડ રૂપિયા ઉપડ્યાં એ સોફ્ટવેરની ખામી છે. 'અમારી ટિમ ટેકનિશિયન સાથે FIR કરવા ગાંધીનગર ગઈબેંકના ચેરમેન રસિકભાઈ ભીંગરાડીયાએ વધુમાં જણાવ્યું હતું કે, આજે અમારી પાસે આંકડો ફિક્સ આવ્યો એટલે ભાવનગર એસપી પાસે ગયા હતાં. ત્યાં એસપીએ જણાવ્યું હતું કે સાત કરોડથી મોટું ફ્રોડ છે, અને સાયબર ફ્રોડ માટે અમારી પાસે આના કોઈ ટેકનિશિયન છે નહીં. જે બધી સુવિધા ગાંધીનગર છે, એટલે તેને લઈ અમારી આખી ટિમ ટેકનિશિયન સાથે FIR કરવા ગાંધીનગર ગઈ છે. હાલ બેંકની કાર્યવાહી બંધ તેને કહ્યું કે, હાલ બેંકની કાર્યવાહી બંધ છે, એટલા માટે આ લોકોએ કોઈપણનું ફ્રોડ કરેલું છે, જેની ચાવી એને મળી ગઈ હોય અથવા એના ડેટા એની પાસે આવી ગયા છે. એટલે જો કામગીરી શરૂ કરીએ તો ફ્રોડ પાછો શરૂ રહે, તે માટે બેન્ક કાર્યવાહી બંધ કરી છે. ખાતાધારકોને આ મુશ્કેલી પડશેતેને વધુમાં કહ્યું હતું કે, બેંક બંધ રહેવાથી ખેડૂતોને મુશ્કેલી પડશે, એટલા માટે જે સરકાર વ્યાજ વળતર આપે છે એ 364 દિવસ સુધીમાં ભરપાઈ કરે એને મળે. જેની આજ દિવસોમાં મુદત પૂરી થતી હોય એ લોકોના વ્યાજ વળતરનું નુકસાન પડે, એટલા માટે ખેડૂતોને આ મુશ્કેલી પડશે. અને જે જનરલ ખાતા હોય તે લોકોનો રોજેરોજનો વહીવટ હોય, કોઈને ચૂકવવાના થતા હોય એટલે મુશ્કેલી તો પડશે. આ પણ વાંચો બે મહિના પહેલા ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકની જલાલપુર શાખામાં ઉચાપત બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના જલાલપુર સ્થિત ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં ખેડૂતોના પરસેવાની કમાણીના નાણાં બારોબાર ઉપાડી લેવાનું એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. બેંકના કેશિયર દ્વારા આશરે 100થી વધુ ખાતેદારોના ખાતામાંથી અંદાજે ₹3થી 5 કરોડની ઉચાપત કરવામાં આવી હોવાના આક્ષેપો સાથે પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે ખેડૂતોએ ઢસા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી કડક કાર્યવાહીની માગ કરી છે. (વાંચો સંપૂર્ણ સમાચાર) શું છે સમગ્ર મામલો? જલાલપુર શાખામાં કેશિયર તરીકે ફરજ બજાવતો આનંદ નામનો કર્મચારી છેલ્લા ચાર મહિનાથી ખાતેદારોની પાસબુકમાં એન્ટ્રી પાડવાનું ટાળતો હતો. ગત 12 તારીખથી તે અચાનક બેંકમાં આવતો બંધ થઈ ગયો હતો. જ્યારે ખેડૂતોએ બેંકમાં તપાસ કરાવી, ત્યારે તેમના ખાતામાંથી લાખો રૂપિયા ગાયબ હોવાનું સામે આવ્યું હતું. ચોંકાવનારી બાબત એ છે કે ખેડૂતોએ કોઈ ચેક આપ્યો નથી કે ઉપાડની સ્લિપ પર સહી કરી નથી, છતાં ₹5 લાખથી લઈને ₹15 લાખ સુધીની રકમો બારોબાર ઉપાડી લેવામાં આવી છે. (સંપૂર્ણ અહેવાલ વાંચો)

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 12:05 am

પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી:વેસુ આપઘાત કેસમાં હાઈકોર્ટે વૈભવ રૂંગટાની ધરપકડ પર વચગાળાનો સ્ટે, મંદિરમાં આવવું નહીં' કહી હુમલો કરનાર 9 શખસોને 3 વર્ષની કેદ

સુરતના લિંબાયત વિસ્તારમાં ચારિત્ર્યની શંકા રાખી પતિએ પત્નીની કરપીણ હત્યા કરી નાખી છે, જ્યારે હીરાબાગમાં વર્ષો જૂના મંદિર પ્રવેશ વિવાદમાં કોર્ટે 9 શખસોને 3 વર્ષની સજા ફટકારી છે. બીજી તરફ, વેસુના ચકચારી સામૂહિક આપઘાત કેસમાં હાઈકોર્ટે આરોપી વૈભવ રૂંગટાની ધરપકડ પર સ્ટે આપી રાહત આપી છે. પોલીસ તપાસમાં સામે આવેલા તથ્યો મુજબ, મૃતક પરિવારે ભૂતકાળમાં થયેલા છેતરપિંડીના કેસો અને મિલકત વિવાદના દબાણને કારણે આ અગમ્ય પગલું ભર્યું હોવાનું જણાય છે. લગ્નના માત્ર આઠ મહિનામાં પતિએ પત્નીની હત્યા કરીસુરતના લિંબાયત વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં લગ્નના માત્ર આઠ મહિનામાં જ એક યુવતીનો સંસાર ઉજ્જડ થઈ ગયો છે. કૃષ્ણાનગર-1માં રહેતા જિતેન્દ્ર માલીએ તેની 19 વર્ષીય પત્ની ગીતાંજલિના ચારિત્ર્ય પર શંકા રાખીને ઘરમાં જ તેનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. મૃતકાના ભાઈ મહેન્દ્ર માલીની ફરિયાદ અનુસાર, જિતેન્દ્ર સતત ગીતાંજલિ પર અન્ય કોઈ વ્યક્તિ સાથે વાત કરતી હોવાની શંકા રાખતો હતો અને આ બાબતે અવારનવાર ઝઘડા થતા હતા. 9 માર્ચની સવારે ફરી આ મુદ્દે બોલાચાલી થતા આવેશમાં આવી જિતેન્દ્રએ પત્નીના જ દુપટ્ટાથી તેનું ગળું ટૂંપી દીધું હતું. લિંબાયત પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) હેઠળ ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 'તમારે મંદિરમાં આવવું નહીં' કહી હુમલો કરનાર 9 શખસોને 3 વર્ષની કેદબીજી તરફ, વરાછાના હીરાબાગ વિસ્તારમાં આવેલા એક સમાજના મંદિરમાં પ્રવેશ અને નૈવેદ્ય ધરવા બાબતે થયેલા હુમલાના કેસમાં સુરત કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. વર્ષ 2016માં બનેલી આ ઘટનામાં ફરિયાદી જ્યારે મંદિરમાં દર્શન કરવા અને નૈવેદ્ય ચઢાવવા ગયા હતા, ત્યારે આરોપી ચંદુ સોલંકી અને તેના સાથીઓએ તમારા ચઢાવાના પૈસા પણ નથી જોઈતા અને તમારે મંદિરમાં આવવું નહીં તેમ કહી અદાવત રાખી હુમલો કર્યો હતો. આ કેસમાં સરકારી વકીલ ક્રિષ્ણાબેન રાવલની ધારદાર દલીલો અને પુરાવાઓને આધારે કોર્ટે નવ આરોપીઓ - ચંદુ સોલંકી, જયેશ સોલંકી, કલ્પેશ હરી, વિપુલ સોલંકી, ભરત સોલંકી, ધીરુ સોલંકી, ઉમેશ સોલંકી, અરવિંદ સોલંકી અને મનોજ સોલંકીને દોષિત ઠેરવી ત્રણ-ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. હાઈકોર્ટે વૈભવ રૂંગટાની ધરપકડ પર વચગાળાનો સ્ટે આપ્યોવેસુ વિસ્તારમાં ગત 24 ફેબ્રુઆરીએ બનેલા હેપ્પી એલિગન્સના સામૂહિક આપઘાત કેસમાં હવે એક નવો વળાંક આવ્યો છે. વેપારી બાલમુકુંદ ખેતાન અને તેમના પરિવારના આપઘાત કેસમાં આરોપી વૈભવ રૂંગટાની ધરપકડ પર ગુજરાત હાઈકોર્ટે વચગાળાનો સ્ટે આપ્યો છે. તપાસ કરનાર અધિકારી દ્વારા રજૂ કરવામાં આવેલી પોલીસ એફિડેવિટ મુજબ, સ્યુસાઈડ નોટમાં મરનારની માતા અને બહેનનું નામ લખેલું હતું અને તેમની વચ્ચે મિલકતની વહેંચણી બાબતે તકરાર ચાલતી હતી. આ ઉપરાંત, મરનાર પર ભૂતકાળમાં પટના ખાતે થયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડીના કેસોના દબાણને કારણે પરિવારે આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. આરોપીની મદદ અને સ્યુસાઈડ નોટના તથ્યોને ધ્યાને રાખી કોર્ટે આપી રાહતઆરોપી વૈભવ રૂંગટાના વકીલો સાગર શુક્લા અને પરેશ પંચાલે રજૂઆત કરી હતી કે વૈભવ તો મૃતક પરિવારને આર્થિક રીતે મદદ કરતો હતો અને ઘટનાના દિવસે તેણે જ સૌ પ્રથમ 108 એમ્બ્યુલન્સ બોલાવી સારવારની વ્યવસ્થા કરી હતી. પોલીસ તપાસમાં પણ એ વાત સ્પષ્ટ થઈ છે કે મરનારની માતા વૃદ્ધ હોવાથી તેમની ધરપકડ કરાઈ નહોતી. હાઈકોર્ટે તપાસની આ વિગતો અને વકીલોની દલીલોને ધ્યાને રાખીને વૈભવ રૂંગટાની કવોશિંગ પિટિશનનો આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી તેની ધરપકડ ન કરવા આદેશ આપ્યો છે. આ કેસમાં હવે કાયદાકીય પ્રક્રિયા કઈ દિશામાં જાય છે તેના પર સૌની નજર છે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 10:48 pm

કેવી રીતે ભણશે ગુજરાત? 19 જિલ્લાઓની શાળામાં શિક્ષકોની ભારે અછત:સામાજિક વિજ્ઞાનની 601 અને ગણિત-વિજ્ઞાનની 410 સહિત 1011 જગ્યાઓ ખાલી

વિધાનસભામાં ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું કે, રાજ્યના અનેક જિલ્લાઓમાં માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નોંધપાત્ર ખાલી જગ્યાઓ છે. સરકારના જવાબ મુજબ સામાજિક વિજ્ઞાનના કુલ 601 અને ગણિત-વિજ્ઞાનના 410 મળીને કુલ 1011 જગ્યાઓ ખાલી છે. દાહોદ જિલ્લામાં સૌથી વધુ સામાજિક વિજ્ઞાનના 122 અને ગણિત-વિજ્ઞાનના 152 જગ્યાઓ ખાલી છે, જ્યારે પંચમહાલમાં સામાજિક વિજ્ઞાનના 76 અને ગણિત-વિજ્ઞાનના 99, બનાસકાંઠામાં 66 અને 28, મહિસાગરમાં 30 અને 18 તથા છોટાઉદેપુરમાં 85 અને 27 જગ્યાઓ ખાલી હોવાનું સરકારે જણાવ્યું હતું. આ ઉપરાંત નર્મદા, વલસાડ, નવસારી, ખેડા, અરવલ્લી, તાપી, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા, સુરત, ડાંગ, પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં પણ સામાજિક વિજ્ઞાન અને ગણિત-વિજ્ઞાનના શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી હોવાનું સરકારના જવાબમાં સામે આવ્યું છે. જામનગર–દેવભૂમિ દ્વારકામાં 58 જર્જરિત અને 9 ઓરડા વિનાની શાળાઓરાજ્યના કેટલાક જિલ્લાઓમાં શાળાઓની ભૌતિક સુવિધાઓ અંગે ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. મળતી માહિતી મુજબ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાલુકાવાર કુલ 58 શાળાઓ જર્જરિત હાલતમાં છે, જ્યારે 9 શાળાઓમાં પૂરતા ઓરડાઓ જ નથી, જેના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલ પરિસ્થિતિમાં અભ્યાસ કરવો પડે છે. બીજી તરફ અરવલ્લી જિલ્લામાં 230 શાળાઓમાં કુલ 163 ઓરડાઓ જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે, જે શિક્ષણ વ્યવસ્થાની મૂળભૂત સુવિધાઓ અંગે પ્રશ્નો ઉભા કરે છે. વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિક્ષણની ગુણવત્તા જાળવવા માટે તાત્કાલિક મરામત તથા નવા ઓરડાઓના નિર્માણની માંગ ઉઠી રહી છે. ગુજરાત વિધાનસભાની બેઠકમાં ચર્ચા કરતાં કરતાં અનેક મુદ્દાઓએ રાજકીય રંગ લીધો. એક તરફ વિભાગોની માંગણીઓ પર સરકાર અને વિપક્ષ વચ્ચે તીવ્ર ટકરાવ જોવા મળ્યો તો બીજી તરફ ગૃહમાં કેટલીક મજેદાર અને રાજકીય ટિપ્પણીઓએ વાતાવરણ હળવું પણ બનાવી દીધું. દાંતા વિસ્તારમાં વીજળી મુદ્દે સરકારની સ્પષ્ટતાગૃહની શરૂઆતમાં કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી દ્વારા 28 ફેબ્રુઆરીએ પૂછાયેલા પ્રશ્નને લઈને સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરી. તેમણે જણાવ્યું કે દાંતા તાલુકાના કપાસિયા ગામમાં વીજળી ન હોવાનો આક્ષેપ યોગ્ય નથી. સ્થળ તપાસમાં ખારી ગામમાં પૂરતો વીજ પુરવઠો મળી રહ્યો છે, જ્યારે જાંબા ગામને અમીરગઢથી વીજળી મળી રહી હોવાનું જણાવ્યું. રાણપુર બંગલા વિસ્તારમાં પણ વીજળી ઉપલબ્ધ હોવાનું કહેતા મંત્રીએ કોંગ્રેસના પ્રશ્નોને તથ્યવિહોણા ગણાવ્યા. ખાણ-ખનીજ મુદ્દે કોંગ્રેસનો આક્રમક અંદાજખાણ-ખનીજ વિભાગની માંગણીઓ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા. તેમણે જણાવ્યું કે મંજૂર કરાયેલી લીઝ છોડીને અન્ય જગ્યાએ ખોદકામ થતું હોવાના બનાવો સામે આવી રહ્યા છે. ગૃહમાં કરાયેલા આ નિવેદનથી થોડો સમય માટે રાજકીય ગરમાવો જોવા મળ્યો. “ફાઇનલ મેચની ટિકિટ જ મળી નહીં!” – ભાજપ MLAની ગૃહમાં વેદનાચર્ચા દરમિયાન સૌથી રસપ્રદ ક્ષણ ત્યારે આવી જ્યારે ધરમપુરના ભાજપ ધારાસભ્ય અરવિંદ પટેલે ગૃહમાં ફરિયાદ કરી કે તેમને ફાઈનલ ક્રિકેટ મેચ જોવા માટે ટિકિટ મળી નહોતી. તેમણે કહ્યું કે રમતગમત મંત્રી જયરામ ગામીતને પણ ટિકિટ માટે વિનંતી કરી હતી, છતાં વ્યવસ્થા થઈ શકી નહીં. આ વાત સાંભળીને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ દંડકને ટકોર કરી કે સભ્યોની આ ચિંતા અંગે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. ત્યારબાદ સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ હળવા અંદાજમાં કહ્યું કે “આગામી વખત અહીં મેચ થશે ત્યારે તમામ ધારાસભ્યોને પરિવાર સાથે મેચ જોવા વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરાશે.” ઉદ્યોગ અને રોજગારી પર સરકારનો દાવોવિવિધ વિભાગોની ચર્ચા દરમિયાન મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે, ભાજપના શાસનમાં વિશ્વના મોટા ઉદ્યોગકારો ગુજરાતમાં રોકાણ કરવા આવે છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં અસરકારક ઉદ્યોગ નીતિ અમલમાં છે અને આત્મનિર્ભર ગુજરાત માટે 313 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. વર્ષ 2025-26માં 50 હજારથી વધુ યુવાનોને રોજગારી મળ્યાનો પણ તેમણે દાવો કર્યો. રાજ્યમાં અનેક GIDC ઉભી થઈ હોવાનું પણ તેમણે કહ્યું. ખાનગી શાળાઓની ફી મુદ્દે ગૃહમાં પ્રશ્નAAPના ધારાસભ્ય હેમંત આહિરે રાજ્યમાં ખાનગી શાળાઓ FRCના નિયમોનો ભંગ કરતી હોવાનો મુદ્દો ઉઠાવ્યો. તેના જવાબમાં શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું કે FRC કમિટી દ્વારા સતત ચકાસણી કરવામાં આવે છે. વધુ ફી લેવાઈ હોવાનો પુરાવો મળે તો દંડથી લઈને માન્યતા રદ કરવાની કાર્યવાહી થાય છે. અનામી ફરિયાદો પર પણ સરકાર કાર્યવાહી કરી રહી હોવાનું તેમણે કહ્યું. જમીન મુદ્દે કોંગ્રેસના આક્ષેપકોંગ્રેસના ડૉ. તુષાર ચૌધરીએ મહેસૂલ વિભાગની ચર્ચા દરમિયાન સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું કે જમીન ગુમાવનાર આદિવાસીઓને યોગ્ય ન્યાય મળતો નથી. તેમણે દાહોદમાં નકલી કલેક્ટર કચેરી પકડાયાનો ઉલ્લેખ કર્યો તેમજ કેટલાક કલેક્ટરો સામે ભ્રષ્ટાચારના આરોપોની પણ વાત કરી. આ આરોપો સામે મંત્રી જીતુ વાઘાણીએ વિરોધ નોંધાવ્યો અને કહ્યું કે જો કોઈ માહિતી હોય તો સરકારને આપવી જોઈએ, સરકાર આવા અધિકારીઓ સામે પગલા ભરશે. ખાદી વેચાણ અને કુટિર ઉદ્યોગને પ્રોત્સાહનકુટિર ઉદ્યોગ મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું કે છેલ્લા ચાર વર્ષમાં ખાદીનું કુલ 683 કરોડ રૂપિયાનું વેચાણ થયું છે. સરકાર “વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ” યોજનાથી સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપી રહી છે. નાના ઉદ્યોગોને લોન માટે મહત્તમ મર્યાદા 25 લાખ રૂપિયા સુધી વધારવામાં આવી છે અને માટીકામના કારીગરોને વૈશ્વિક બજારમાં યોગ્ય ભાવ મળે તે માટે પ્રયત્નો થઈ રહ્યા છે. ઉર્જા ક્ષેત્રે ‘ક્રાંતિ’નો સરકારનો દાવોઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગની ચર્ચામાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે છેલ્લા 25 વર્ષમાં રાજ્યમાં ઉર્જા ક્ષેત્રે મોટો બદલાવ આવ્યો છે. જ્યોતિગ્રામ યોજના પછી રાજ્યના લગભગ 18 હજાર ગામડાઓમાં વીજળી પહોંચી છે અને છેલ્લા વર્ષોમાં 1 કરોડ નવા વીજ જોડાણ આપવામાં આવ્યા છે. ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે ગુજરાતને ગ્લોબલ હબ બનાવવા સરકાર પ્રયત્નશીલ હોવાનું પણ તેમણે કહ્યું. ગૃહમાં ચર્ચા દરમિયાન કેટલીક મજેદાર ક્ષણો પણ જોવા મળીએક સમયે ભાજપના સભ્ય C.J. ચાવડા સરકારના વખાણ કરી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના ઇમરાન ખેડાવાલાએ કટાક્ષ કરતાં કહ્યું કે “ચાવડાને મંત્રી બનાવી દો.” તેના જવાબમાં ચાવડાએ કહ્યું કે “ઇમરાન તો બોલે પણ આપણે બોલાય નહીં.” બીજી તરફ ભાજપના સભ્ય જીતેન્દ્ર પટેલ માંગણીઓ પર બોલતા બોલતા વારંવાર બજેટ પર બોલતા રહ્યા, ત્યારે અધ્યક્ષે ટોકી કહ્યું કે “આપ માંગણીઓ પર બોલો, બજેટ પર નહીં.” અધ્યક્ષની નવી પ્રણાલીઅધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ એક નવી પ્રણાલી પણ અપનાવી. વિભાગોની માંગણીઓની ચર્ચા બાદ ધારાસભ્યોને પોતાના મતવિસ્તારના પ્રશ્નો પૂછવાની તક આપવામાં આવી. અધ્યક્ષ સભ્યોને પ્રોત્સાહિત કરતાં કહેતા હતા કે “વાંચેલું ન બોલો, જે આત્મસાત કર્યું છે તે બોલો.”

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 10:42 pm

સુરતને 'ક્લાયમેટ સ્માર્ટ સિટી' બનાવવા મનપાની કવાયત:ટેકનોલોજી અને પાયલોટ પ્રોજેક્ટ્સના આધારે પુરાવા આધારિત નીતિઓ તૈયાર

સુરત મહાનગરપાલિકા અને UHCRCEના સંયુક્ત ઉપક્રમે આજરોજ 10 માર્ચ 2026ના રોજ ICCC ખાતે શહેરના આબોહવાકીય પડકારોનો સામનો કરવા અને 'અર્બન લિવબિલિટી' સુધારવા માટે એક વિશેષ વર્કશોપ ‘શેપિંગ સુરત’નું આયોજન કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ડેપ્યુટી કમિશનર (હેલ્થ એન્ડ હોસ્પિટલ), ICLEI અને RUVISION થીંક લેબના પ્રતિનિધિઓ સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ટેકનોલોજી પર ભારવર્કશોપ દરમિયાન કમિશનરે જણાવ્યું હતું કે, સુરત શહેરમાં હાલ 'Child Friendly City' અને 'Heat Resilient City' જેવા મહત્વના પ્રોજેક્ટ્સ કાર્યરત છે. આ પ્રોજેક્ટ્સ હેઠળ ટેકનોલોજી અને પાયલોટ પ્રોજેક્ટ્સના આધારે પુરાવા આધારિત નીતિઓ તૈયાર કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે હવે માત્ર શહેરની સીમાઓ પૂરતું મર્યાદિત ન રહેતા બારડોલી અને નવસારી જેવા આસપાસના વિસ્તારોને સાંકળીને એક સંકલિત આયોજન કરવાની તાતી જરૂરિયાત છે. જો તમામ વિભાગો સ્પર્ધા છોડીને એકબીજાના પૂરક બનીને કામ કરશે, તો જ સુરતને ખરા અર્થમાં રેસિલિયન્ટ શહેર બનાવી શકાશે. AI અને ડેટા સિસ્ટમનો ઉપયોગવર્કશોપમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અંગે પણ ગહન ચર્ચા કરવામાં આવી હતી RUVISION થીંક લેબ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી વોર્ડ સ્તરે હવામાનની સચોટ આગાહી કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. જેનાથી પૂર, અતિવૃષ્ટિ કે પ્રદૂષણ જેવી આકસ્મિક સ્થિતિમાં નાગરિકોને સમયસર ચેતવણી આપી જાન-માલનું નુકસાન અટકાવી શકાય. ICLEIના પ્રતિનિધિઓએ આબોહવા પરિવર્તનના આર્થિક અને સામાજિક નુકસાનના આકલન માટે સચોટ ડેટા સિસ્ટમ વિકસાવવા પર ભાર મૂક્યો હતો. આ સિસ્ટમ દ્વારા ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરના ક્લાયમેટ ફંડ મેળવવામાં પણ મદદ મળશે. મેડિકલ કોલેજોના પ્રતિનિધિઓએ ભાગ લીધોUHCRCE દ્વારા સુરતની ભૌગોલિક સ્થિતિ મુજબ ‘હીટ એક્શન પ્લાન’ ના અમલીકરણ અને વિવિધ વિભાગોની ભૂમિકા વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સુરત મનપાના આરોગ્ય, ટાઉન પ્લાનિંગ, ફાયર, ટ્રાન્સપોર્ટ અને આઈ.એસ.ડી જેવા વિભાગો ઉપરાંત UNEP, SVNIT અને જાણીતી મેડિકલ કોલેજોના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 10:35 pm

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં મોટી બદલી:ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના એકસાથે 338 સેનિટરી સબ ઈન્સ્પેક્ટરોની બદલીના આદેશ

સુરત મહાનગરપાલિકાના મધ્યસ્થ મહેકમ વિભાગ દ્વારા વહીવટી સરળતા ખાતર આરોગ્ય વિભાગમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નિધિ સિવાચન દ્વારા કરવામાં આવેલા સત્તાવાર હુકમ મુજબ, વિવિધ ઝોન અને વિભાગોમાં ફરજ બજાવતા કુલ 338 સેનિટરી સબ ઇન્સ્પેક્ટરોની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. આ આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે તમામ કર્મચારીઓએ તેમને ફાળવવામાં આવેલા નવા ઝોન કે વિભાગમાં તાત્કાલિક અસરથી કામગીરી સંભાળવાની રહેશે. જીતેન્દ્ર ઠાકોરભાઈ ચૌધરીને સેન્ટ્રલ ઝોનમાં નિમણૂકબદલીના આ આદેશમાં વેસ્ટ ઝોન (રાંદેર) માંથી મોટી સંખ્યામાં કર્મચારીઓને અન્યત્ર ખસેડાયા છે. જેમાં આશિષકુમાર ગટુભાઈ નાઈકને માર્કેટ વિભાગમાં, ઈશ્વરભાઈ દેવાભાઈ આહિરને ન્યૂ ઈસ્ટ ઝોન (સરથાણા) માં અને જીતેન્દ્ર ઠાકોરભાઈ ચૌધરીને સેન્ટ્રલ ઝોનમાં નિમણૂક આપવામાં આવી છે. તેવી જ રીતે, સેન્ટ્રલ ઝોનમાંથી નિતિનકુમાર ચીમનભાઈ પટેલને સાઉથ ઝોન (ઉધના) માં અને રામચંદ્ર હર્ષદરાય રાણાને રસીકરણ વિભાગમાં મોકલવામાં આવ્યા છે. નોર્થ ઝોન (કતારગામ) ના કર્મચારીઓ જેવા કે અબ્દુલમજીદ મોહમદ ભોજા અને પ્રકાશકુમાર કાશીરામ પ્રજાપતિને રસીકરણની કામગીરી સોંપાઈ છે. જ્યારે નરેન્દ્ર પ્રેમાભાઈ પટેલને વેસ્ટ ઝોન (રાંદેર) માં બદલી અપાઈ છે. રણધીરકુમાર ચૌહાણને સાઉથ વેસ્ટ ઝોનમાં મૂકવામાં આવ્યાવહીવટી તંત્રના આ ફેરફારમાં માત્ર ઝોન જ નહીં પરંતુ સ્પેશિયલ વિભાગોમાં પણ ફેરબદલ જોવા મળી છે. ડ્રેનેજ વિભાગના મહેન્દ્રસિંહ ભારતસિંહ મેઢાતને સેન્ટ્રલ ઝોનમાં અને રણધીરકુમાર નાગરભાઈ ચૌહાણને સાઉથ વેસ્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાંથી અનિલકુમાર ડાહ્યાભાઈ સુરતીને વેસ્ટ ઝોનમાં અને અમિતકુમાર ગંભીરસિંહ રાઠવાને સ્મીમેર હોસ્પિટલ ખાતે બદલી કરવામાં આવી છે. રસીકરણ વિભાગમાં ફરજ બજાવતા જ્યોતિકાબેન ભરતકુમાર ચૌહાણને સેન્ટ્રલ ઝોનમાં અને દિનેશકુમાર લાલજીભાઈ પરમારને નોર્થ ઝોનમાં ફરજ સોંપાઈ છે. નૈલેષકુમાર નાઈકની બદલી નોર્થ ઝોનમાં કરાઈઆ ઉપરાંત, લેપ્રસી (રક્તપિત્ત) અને વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ યુનિટમાં પણ ફેરફાર કરાયા છે. માર્કેટ વિભાગમાં ફરજ બજાવતા હર્ષદ ચંદ્રકાંત કરોડેને સાઉથ ઝોન-બી (સચિન) માં અને ભાવેશકુમાર ચંદુલાલ ચૌહાણને સેન્ટ્રલ ઝોનમાં ખસેડાયા છે. લેપ્રસી વિભાગમાંથી દિનેશભાઈ વાલજીભાઈ ગોહિલ અને નૈલેષકુમાર ઠાકોરભાઈ નાઈકની બદલી નોર્થ ઝોનમાં કરવામાં આવી છે. આ સમગ્ર આદેશની નકલ તમામ વિભાગીય વડાઓ અને મ્યુનિસિપલ કમિશનરના અંગત સચિવને જાણ અને અમલવારી માટે મોકલી દેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 10:24 pm

અમરેલીના માણાવાવમાં સિંહે 5 વર્ષના બાળકને ફાડી ખાધો:ખેતમજૂર પરિવાર મજૂરી કરતો હતો ને સાવજ મોઢામાં પકડી ઢસડી ગયો,માનવભક્ષીને પાંજરે પૂરવા ફોરેસ્ટની 3 ટીમ બનાવાઈ

અમરેલી જિલ્લામાં માનવ અને વન્યપ્રાણી સંઘર્ષની ઘટનાઓ સતત વકરી રહી છે. ધારી તાલુકાના માણાવાવ ગામની એક વાડીમાં સિંહે હુમલો કરી ખેતમજૂર પરિવારના 5 વર્ષના બાળકને મોતને ઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઘટનાને પગલે વન વિભાગે માનવભક્ષી સિંહને પાંજરે પૂરવા માટે 3 અલગ-અલગ ટીમો બનાવી ઓપરેશન શરૂ કર્યું છે. સમગ્ર ઘટનાક્રમમાણાવાવ ગામમાં આવેલી અનક લખુ વાળાની વાડીમાં મૂળ મધ્યપ્રદેશનો ખેતમજૂર પરિવાર મજૂરી કામ કરતો હતો. આ દરમિયાન ખેતરમાં હાજર 5 વર્ષના બાળક ધવલ ઈશ્વરભાઈ કટારા પર સિંહે અચાનક હુમલો કર્યો હતો. સિંહ બાળકને મોઢામાં દબાવીને દૂર સુધી ઢસડી ગયો હતો. પરિવારના સભ્યોએ બૂમાબૂમ કરતા અને પાછળ દોડતા સિંહ બાળકને લોહીલુહાણ હાલતમાં છોડીને નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા બાળકને તાત્કાલિક ચલાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો અને સ્થાનિક આગેવાનો મદદ માટે દોડી ગયા હતા. વન વિભાગની કાર્યવાહી: 3 ટીમો અને પાંજરા તૈનાતઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ગીર પૂર્વના DCF વિકાસ યાદવે તાત્કાલિક અસરથી પગલાં લેવા સૂચના આપી છે. વન વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન, પાંજરા ગોઠવા સહિતના પગલાં લેવાયા છે: સર્ચ ઓપરેશન: સરસિયા રેન્જની મદદથી વન વિભાગની 3 અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. પાંજરા: સિંહને પકડવા માટે વાડી વિસ્તારમાં 3થી વધુ પાંજરા ગોઠવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. લોક જાગૃતિ: વન વિભાગે સ્થાનિક લોકોને સતર્ક રહેવા અને વન્યપ્રાણી દેખાય તો તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે. વધતા હુમલાઓ ચિંતાનો વિષયસૌરાષ્ટ્ર અને ખાસ કરીને અમરેલી જિલ્લામાં સિંહ-દીપડાની વધતી સંખ્યા સામે માનવ મૃત્યુના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. DCF વિકાસ યાદવે જણાવ્યું હતું કે, અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને વન્યપ્રાણીને ઝડપથી પકડવા માટેની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. કેરીના બગીચામાં રમતી બાળકીને સિંહણ ઉઠાવી ગઈગીરગઢડા તાલુકાનું છેવાડાનું શાણાવાંકિયા ગામમાં આજે બપોરના સમયે આંબાના બગીચામાં માતા સાથે કેરી વીણતી 8 વર્ષની બાળકીને સિંહણ ઉઠાવી ગઈ હતી. જેથી બાળકીની માતાએ હાથમાં પથ્થર લઈ પાછળ દોટ મૂકી હતી. તેમજ બૂમાબૂમ કરતા સિંહણે માસૂમને છોડી દીધી હતી. જોકે, બાળકીને ગંભીરઈજા પહોંચતા તેને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. માતાની નજર સામેથી પુત્રીને સિંહણ ઉપાડી ગઈઆ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર શાણાવાંકિયામાં ભૂતડાદાદા ધજા વિસ્તારમાં આવેલા આંબાના બગીચામાં જ વર્ષની રીવા મહેશ રામાણી આજે બપોરના સમયે તેની માતા મનીષાબેન સાથે આંબાના બગીચામાં રમતી હતી અને કેરી વીણતી હતી. એ વખતે બગીચામાં સિંહબાળ સાથે વસવાટ કરતી સીંહણ અચાનક આવી પહોંચી અને માતાની નજર સામેથી તેમની પુત્રી રીવાને સિંહણ ઉપાડી ગઈ હતી.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 10:16 pm

ખાડી દેશોમાં યુદ્ધને કારણે હવાઈ મુસાફરી મોંઘી, એર ઇન્ડિયાએ ફ્યુઅલ સરચાર્જમાં કર્યો મોટો વધારો

Air India hikes Fuel Surcharge: અમેરિકા ઈઝરાયલ અને ઈરાન યુદ્ધની અસર એરલાઈન કંપનીઓ પર પડી છે ત્યારે એર ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્યુઅલ સરચાર્જ વધારવાની જાહેરાત કરવામાં આવી છે. ખાડી દેશોમાં ચાલી રહેલી ભૌગોલિક રાજકીય સ્થિતિને કારણે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ/વિમાનનુંબળતણ (ATF) ના ભાવમાં થયેલા તોતિંગ વધારાને પગલે કંપનીએ ભાવ વધારોનો નિર્ણય લીધો છે. જેની સીધી અસર હવે મુસાફરો પર પડશે. આ વધારો ત્રણ અલગ-અલગ તબક્કામાં લાગુ કરવામાં આવશે. કેમ અચાનક વધારો કરવામાં આવ્યો?

ગુજરાત સમાચાર 10 Mar 2026 10:15 pm

મ.લા.ગાંધી મંડળની કોલેજોનો સંયુક્ત વાર્ષિકોત્સવ ઉજવાયો:વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન અપાયું, ઇનામ વિતરણ થયું

મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત બી. એચ. ગાંધી બીબીએ કોલેજ, માતૃ લલિતાબેન જમનાદાસ ગાંધી (બાકોરવાલા) બીસીએ કોલેજ, ડૉ. એન. જે. શાહ પીજીડીસીએ કોલેજ અને વિ. વિ. શાહ એમએસસી (સી.એ. એન્ડ આઈ.ટી) કોલેજનો સંયુક્ત વાર્ષિકોત્સવ તા. 10 માર્ચ, 2026ના રોજ યોજાયો હતો. આ કાર્યક્રમ મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ વી. શાહના અધ્યક્ષસ્થાને ઉજવવામાં આવ્યો હતો. આ વાર્ષિકોત્સવમાં ડો. રશ્મિત પંડ્યા (કાર્ડિયોલોજિસ્ટ, યુનિટી હોસ્પિટલ, મોડાસા) ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે જયેન્દ્રભાઈ ભટ્ટ (AEI, શિક્ષણ વિભાગ, અરવલ્લી) મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે મહત્વપૂર્ણ સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અતિથિ વિશેષ તરીકે મંડળના ઉપપ્રમુખ અને બીબીએ કોલેજના પ્રભારી મંત્રી અરવિંદભાઈ જે. મોદી તેમજ બીસીએ અને એમ.એસ.સી. સીએ આઈટી કોલેજના પ્રભારી મંત્રી પરેશભાઈ બી. મહેતા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં બીસીએ કોલેજના આચાર્ય સંજયભાઈ પટેલે તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. મંચસ્થ મહાનુભાવો દ્વારા વર્ષ દરમિયાન શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે સફળતા મેળવનાર તેમજ કોલેજ અને યુનિવર્સિટીની પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. એમએસસી (સી.એ. એન્ડ આઈ.ટી) કોલેજના આચાર્ય શ્રી અર્પિતભાઈ જોષીએ વર્ષ ૨૦૨૫-૨૬નો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. કાર્યક્રમના અંતે બીબીએ કોલેજના આચાર્ય ડૉ. તુષારભાઈ ભાવસારે આભાર વિધિ કરી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન પ્રોફેસર દીપિકાબેન, પ્રોફેસર પ્રતિક્ષા સાધુ અને પ્રોફેસર હિમાની પટેલે કર્યું હતું. મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ વી. શાહ, પ્રભારી મંત્રી અરવિંદભાઈ જે. મોદી અને પરેશભાઈ બી. મહેતાએ સુંદર આયોજન બદલ તમામ કોલેજના આચાર્યો અને સ્ટાફ મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 10:12 pm

છૂટાછેડાના કેસમાં પતિ દ્વારા હાઇકોર્ટમાં અરજી:ફેમિલી કોર્ટે 65Bના સર્ટિફિકેટ વગર વીડિયો પુરાવા સ્વીકાર્યા, હાઇકોર્ટે કહ્યું- રેલવે સ્ટેશનના CCTVના પુરાવા વિશ્વસનિય, છેડછાડની શક્યતા નહીંવત

ગુજરાત હાઇકોર્ટે એક ચુકાદામાં જણાવ્યું છે કે, ફેમિલી કોર્ટ સંતુષ્ટ હોય તો તે ભારતીય પુરાવા અધિનિયમની કલમ 65B હેઠળના પ્રમાણપત્ર વિના પણ કોઈપણ ઇલેક્ટ્રોનિક પુરાવાને સ્વીકારી શકે છે. કોર્ટે પુનરોચ્ચાર કર્યો હતો કે 'ફેમિલી કોર્ટ્સ એક્ટ' અન્ય કાયદાઓ પર સર્વોપરી અસર ધરાવે છે. પતિનો પત્ની પર હુમલો રેલવે સ્ટેશનના CCTVમાં કેદઆ કેસ લગ્ન સંબંધી વિવાદનો હતો. જેમાં ખેડા જિલ્લાની ફેમિલી કોર્ટે પત્નીની છૂટાછેડાની અરજી પર ક્રૂરતાના આધારે છૂટાછેડાનો આદેશ આપ્યો હતો. આમાં મુખ્ય ઘટના રેલવે સ્ટેશન પર પતિ દ્વારા પત્ની પર કરવામાં આવેલો હુમલો હતો, જે CCTV કેમેરામાં કેદ થયો હતો. 2019માં પતિની ક્રૂરતાના આધારે લગ્નનો અંત લાવ્યોપત્નીએ CCTV ફૂટેજ ધરાવતી ડિસ્ક ફેમિલી કોર્ટમાં રજૂ કરી હતી, જેને કોર્ટે સ્વીકારી લીધી હતી અને વર્ષ 2019 માં પતિની ક્રૂરતાના આધારે લગ્નનો અંત લાવ્યો હતો. પતિએ ફેમિલી કોર્ટના આ આદેશને પડકારતા CCTV ફૂટેજની ગ્રાહ્યતા પર સવાલ ઉઠાવ્યા હતા. કારણ કે ઇલેક્ટ્રોનિક રેકોર્ડ સાથે ભારતીય પુરાવા અધિનિયમની કલમ 65B મુજબનું પ્રમાણપત્ર જોડાયેલું નહોતું. જે એ વાતની પુષ્ટિ કરે છે કે ફૂટેજ સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી. પતિના વકીલે દલીલ કરી હતી કે પુરાવા અધિનિયમની કલમ 65B ની જરૂરિયાત સંતોષ્યા વિના આ ડિસ્કને ફેમિલી કોર્ટ દ્વારા પુરાવા તરીકે રેકોર્ડ પર લઈ શકાય નહીં. ફેમિલી કોર્ટ ઇલેક્ટ્રોનિક પુરાવાની વિશ્વસનીયતા અંગે સંતુષ્ટ હતીહાઇકોર્ટે જણાવ્યું હતું કે CCTV ફૂટેજ રેલવે દ્વારા જાળવવામાં આવ્યા હતા અને જાહેર સ્થળ પરથી મેળવવામાં આવ્યા હતા. તેથી એ માનવું મુશ્કેલ છે કે પેન ડ્રાઈવ કે ડિસ્કમાં આપવામાં આવેલા CCTV ફૂટેજમાં કોઈ ખાનગી વ્યક્તિ દ્વારા છેડછાડ કરવામાં આવી હોય. આ બાબતથી ફેમિલી કોર્ટ ઇલેક્ટ્રોનિક પુરાવાની વિશ્વસનીયતા અંગે સંતુષ્ટ હતી અને તેથી ડિસ્ક પુરાવા તરીકે ગ્રાહ્ય નથી તેવી દલીલ સ્વીકારી શકાય નહીં. ખાસ કરીને ફેમિલી કોર્ટ્સ એક્ટ, 1984ની કલમ 14 ની જોગવાઈઓને ધ્યાનમાં લેવામાં આવે છે. ફેમિલી કોર્ટ પુરાવા સ્વીકારવા માટે સક્ષમ છેવિશેષ કાયદા હેઠળ ફેમિલી કોર્ટની સત્તાઓ વિશે ચર્ચા કરતા હાઈકોર્ટે કહ્યું હતું કે, ફેમિલી કોર્ટ પુરાવા સ્વીકારવા માટે સક્ષમ છે અને 1872ના અધિનિયમમાં આપવામાં આવેલા પુરાવાઓના કડક નિયમો ફેમિલી કોર્ટની કાર્યવાહીમાં લાગુ પડશે નહીં. 1984 નો એક્ટ નિઃશંકપણે એક વિશેષ કાયદો છે, જેની કલમ 20 અન્ય કાયદાઓ પર 1984ના એક્ટને સર્વોપરી અસર આપે છે. ફેમિલી કોર્ટને વ્યાપક સત્તાઓ આપવામાં આવી છેહાઈકોર્ટે કાયદાની સ્થિતિનું પુનરોચ્ચાર કરતા કહ્યું કે સ્પષ્ટપણે અન્ય કાયદાઓ પર ફેમિલી કોર્ટ્સ એક્ટ, 1984ની સર્વોપરિતા પ્રદાન કરે છે. આ એક્ટના ઉદ્દેશ્ય અને યોજનાને ધ્યાનમાં લેતા, વિવાદોના ઉકેલમાં ફેમિલી કોર્ટની ભૂમિકા અને તેની જોગવાઈઓને જોતા, ફેમિલી કોર્ટ સમક્ષની કાર્યવાહીને સામાન્ય સિવિલ કોર્ટની કાર્યવાહીની સમકક્ષ ગણી શકાય નહીં. 9184ના એક્ટની જોગવાઈઓ મુજબ કૌટુંબિક બાબતોના ન્યાયિક નિર્ણય માટે ફેમિલી કોર્ટને વ્યાપક સત્તાઓ આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 10:11 pm

એલનના ભૂતપૂર્વ વિજ્ઞાન શિક્ષકને 3 વર્ષની કેદ:સગીરા પાસેથી તેના અશ્લીલ ફોટા મંગાવ્યા, નપાસ કરવાની ધમકી આપી

અમદાવાદના મણિનગર પોલીસ મથકે વર્ષ 2023માં એલન ઇન્સ્ટિટ્યૂટના તત્કાલીન વિજ્ઞાન શિક્ષક 26 વર્ષિય શ્રેય મિસ્ત્રી સામે IPC અને પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. જેમાં સરકારી વકીલ કે.જી.જૈન અને દિલીપસિંહ.એમ.ઠાકોરની દલીલો, 8 સાહેદ અને 13 પુરાવા તપાસીને જજ એ.બી.ભટ્ટે આરોપીને 3 વર્ષની સાદી કેદની સજા અને 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. વિજ્ઞાન શિક્ષકે સગીરાને અયોગ્ય મેસેજ કર્યો હતોકેસને વિગતે જોતા એલન ઇન્સ્ટિટયૂટમાં ભણતી 11 વર્ષ અને 6 મહિનાની સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ રાત્રે 11 વાગે સગીરાના વિજ્ઞાન શિક્ષકે તેને અયોગ્ય મેસેજ કર્યો હતો. ત્યારબાદ તેને ફોન પણ કર્યો હતો. જો કે સગીરાએ ફોન ઉપાડ્યો ન હતો. જે સંદર્ભે વાલીએ એલન ઇન્સ્ટિટયૂટમાં ફરિયાદ કરતા એલન ઇન્સ્ટિટયૂટે તેને શિક્ષકને નોકરીમાંથી રૂખસદ આપી દીધી હતી. શિક્ષકે અશ્લીલ ફોટોગ્રાફની માંગ કરી હતીત્યારબાદ વાલીએ સગીરાનો ફોન તપાસતા સ્નેપચેટ ઉપર તેના વિજ્ઞાન શિક્ષકે તેને અભદ્ર મેસેજ મોકલ્યા હતા. જેમાં તેની અશ્લીલ ફોટોગ્રાફની માંગ કરવામાં આવી હતી, નહિતર નાપાસ કરવાની ધમકી આપવામાં આવી હતી. સગીરા શિક્ષકનો મેસેજ પણ સમજી શકતી નહોતી. ઉલ્લેખનીય છે કે સગીરા ભણવામાં નબળી હતી. જેથી તેને ટ્યુશન ક્લાસમાં મૂકવામાં આવી હતી. વાલીએ શિક્ષકની ચેટના સ્ક્રીનશોટ લીધા હતા. FSL દ્વારા મોબાઈલમાંથી પુરાવા એકત્ર કરીને ચેક પરત મેળવવામાં આવી હતી. આ કેસમાં સાહેદોએ ફરિયાદીના આક્ષેપોને સમર્થન આપ્યું હતું. મેસેજમાંથી અમુક ચેટ ડીલીટ કરી દેવાઇઆરોપી શિક્ષક તરફે રજૂઆત કરવામાં આવી હતી કે સગીરા બીજા કોઈ સાથે ચેટ કરતી હતી. વળી મેસેજમાંથી અમુક ચેટ ડીલીટ કરી દેવામાં આવી હતી. 65B નું સર્ટિફિકેટ મેળવવામાં આવ્યું નથી. જો કે કોર્ટે નોંધ્યું હતું કે આરોપી પક્ષે પોતાને નિર્દોષ હોવાનું સાબિત કરવું પડે છે. આરોપીના વર્તનથી પીડિતાને તાવ આવ્યો હતો. પીડિતા આરોપીના ઇરાદાને પણ સમજી શકતી નહોતી. કોર્ટે આરોપીને 3 વર્ષની સાદી કેદ સજા ફટકારીવાલીએ શિક્ષકના મેસેજ સ્ક્રીનશોટ પણ લીધા હતા. સગીરા ભણવામાં નબળી હોવાથી તેને ટ્યુશન ક્લાસીસમાં મુકવામાં આવી હતી. જેમાં શિક્ષકે સગીરાના ભવિષ્ય ઉપર ધ્યાન આપવાને બદલે તેનો લાભ ઉઠાવાની કોશિશ કરી હતી. FSL દ્વારા ચેટ રીટ્રાઈવ કરી લેવામાં આવી છે. ત્યારે આરોપીને 3 વર્ષની સાદી કેદ અને કુલ 50 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવે છે. આ 50 હજાર રૂપિયા પીડિતાને માનસિક યાતનાના વળતર તરીકે આપવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 10:04 pm

દમણ કંપની ચોરીનો ભેદ ઉકેલાયો:હોળીના તહેવારે પ્રીમિયમ પોલીએલોયસ લિમિટેડ કંપનીમાં ચોરી થઈ, સગીર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ

દમણના સોમનાથ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી પ્રીમિયમ પોલીએલોયસ લિમિટેડ કંપનીમાં હોળીના તહેવાર દરમિયાન થયેલી લાખો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. કચીગામ પોલીસે આ મામલે એક સગીર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને ચોરાયેલો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. કંપનીના ડિસ્પેચ હેડ કૌશલ ભરત પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે 4 અને 5 માર્ચ 2026ના રોજ હોળીની રજા હોવાથી કંપની બંધ હતી. 6 માર્ચ 2026ના રોજ કંપની ખુલતા ગોડાઉનમાંથી રિલાયન્સ મટીરીયલના 25 કિલોના પ્લાસ્ટિકના દાણા ભરેલી 50 બેગ ગાયબ જણાઈ હતી. આશરે 1.30 લાખ રૂપિયાની કિંમતના 1250 કિલો પ્લાસ્ટિકના દાણાની ચોરી થઈ હતી. ચોરીની ગંભીરતાને ધ્યાનમાં લઈને કચીગામ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પોલીસે CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ગણતરીના કલાકોમાં જ બે શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરી લીધી હતી. 8 માર્ચ 2026ના રોજ પોલીસે મૂળ વારાણસીના અને હાલ વાપીમાં રહેતા ઉજ્જવલ રાજેશ પાંડે તથા મૂળ છપરા, બિહારના અને હાલ વાપીમાં રહેતા નીતિન સંતોષ શાહની ધરપકડ કરી હતી. આ ગુનામાં સંડોવાયેલા એક સગીરને પણ 9 માર્ચ 2026ના રોજ ઝડપી લેવામાં આવ્યો હતો. પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીઓએ અગાઉથી રેકી કરીને આ ચોરીને અંજામ આપ્યો હતો અને ચોરાયેલો માલ રિક્ષામાં લઈ ગયા હતા. પોલીસે આરોપીઓની કસ્ટડીમાંથી ચોરાયેલો તમામ મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલી રિક્ષા જપ્ત કરી છે. હાલ બંને પુખ્ત આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને આ મામલે વધુ સઘન તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 9:52 pm

જામનગર મનપાની છેલ્લી સ્ટેન્ડિંગમાં વિપક્ષનો હંગામો:કોંગ્રેસે ગંગાજળ છાંટી 40% કમિશનનો આરોપ લગાવ્યો

જામનગર મહાનગરપાલિકાની ભાજપ શાસિત સ્ટેન્ડિંગ કમિટીની વર્તમાન ટર્મની છેલ્લી બેઠક આજે યોજાઈ હતી. આ બેઠક પૂર્વે જ શહેર કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવતા રાજકારણ ગરમાયું હતું. વિપક્ષે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે 'ગંગાજળ' છાંટી અને સ્ટેન્ડિંગ ચેરમેનને ગુલાબ આપી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ સ્ટેન્ડિંગ કમિટીની ઓફિસ અને હોલમાં ગંગાજળ છાંટીને 'શુદ્ધિકરણ' કર્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે છેલ્લા પાંચ વર્ષમાં થયેલા કથિત ભ્રષ્ટાચારથી કચેરી અપવિત્ર થઈ છે. આ ઉપરાંત, ચેરમેનને ગુલાબ આપીને તેમના 'કુશાસન' અને જનતાની પરેશાનીઓ બદલ કટાક્ષ કરવામાં આવ્યો હતો. વિપક્ષી નેતાઓ અને કોંગ્રેસના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 5 વર્ષમાં ભાજપ શાસકોએ પ્રજાના ટેક્સના પૈસાનો બેફામ દુરુપયોગ કર્યો છે. સત્તાનો સમયગાળો પૂર્ણ થવાને આરે હોવા છતાં, આજે ઉતાવળે કમિટી બોલાવી 50થી વધુ કામોને મંજૂરી આપી દેવામાં આવી છે. આ પાછળ 40% કમિશન ની લાલચ હોવાનો સીધો આરોપ સ્ટેન્ડિંગ ચેરમેન પર લગાવવામાં આવ્યો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ જણાવ્યું હતું કે, જામનગર મહાનગરપાલિકામાં 40 ટકા કમિશનની પ્રથા ચાલી રહી છે. તેમણે ઉમેર્યું કે, કાલનો દિવસ અંતિમ હોવાથી, 50 થી વધુ એજન્ડાઓ ઉતાવળે મંજૂર કરીને ભ્રષ્ટાચારમાં ભાગ બટાવવાની પેરવી કરવામાં આવી રહી છે. કોંગ્રેસે પ્રજાના પૈસાનો વેડફાટ કરીને પોતાના ઘર ભરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે કોંગ્રેસના કાર્યકરો ગંગાજળ અને ફૂલો લઈને વિરોધ કરવા પહોંચ્યા ત્યારે ભારે અફરાતફરી મચી ગઈ હતી. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે વિરોધ જોઈને સ્ટેન્ડિંગ ચેરમેન અને સત્તાધારી પક્ષના સભ્યો ત્યાંથી નીકળી ગયા હતા, જેને કોંગ્રેસે ભાગેડુ વૃત્તિ ગણાવી હતી. આ ઘટનાએ જામનગરના રાજકારણમાં ભારે ચર્ચા જગાડી છે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 9:49 pm

આધેડને હનીટ્રેપમાં ફસાવી 1.50 કરોડની ખંડણી વસૂલી:યુવતી સાથેનો નિર્વસ્ત્ર વીડિયો ઉતાર્યો, 3 મિત્રોએ બ્લેકમેલ કરી 1kg સોનું અને 5kg ચાંદી પડાવ્યું; બેની ધરપકડ

સુરત શહેરના અઠવાલાઈન્સ વિસ્તારમાં રહેતા એક આધેડને પ્રેમજાળમાં ફસાવી, નિર્વસ્ત્ર વીડિયો બનાવી બ્લેકમેઈલ કરવાનો સનસનીખેજ કેસ સામે આવ્યો છે. ત્રણ પરિચિતોએ જ આધેડને બારડોલી-પલસાણા હાઈવે પર લઈ જઈ યુવતી સાથેનો વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયોના આધારે બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી આરોપીઓએ 39 લાખની એફડી તોડાવી, 1 કિલો અને 300 ગ્રામ સોનું અને 5 કિલો ચાંદી પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. મિત્રોએ જ મિત્રને બારડોલી હાઈવે પર જાળમાં ફસાવ્યોઅઠવાલાઈન્સ વિસ્તારમાં રહેતા આધેડને તેમના જ ઓળખીતા મેહુલ જડિયા, વિનોદ મનાની અને યુસુફ ચોકસીએ વિશ્વાસમાં લીધા હતા. અઢી વર્ષ પહેલાં આ ત્રણેય આરોપીઓએ ફરિયાદીને બહાના હેઠળ બારડોલી-પલસાણા હાઈવે પર લઈ ગયા હતા. ત્યાં પૂર્વનિર્ધારિત કાવતરા મુજબ એક અજાણી યુવતીને બોલાવવામાં આવી હતી. આ યુવતી સાથે ફરિયાદીનો નિર્વસ્ત્ર વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો, જે બાદ શરૂ થયો હતો બ્લેકમેઈલિંગનો આખો ખેલ. 39 લાખની એફડી તોડાવી અને 130 તોલા સોનું પડાવ્યુંવીડિયો વાઇરલ કરવાની અને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીથી ફરિયાદી ફફડી ઉઠ્યા હતા. આ તકનો લાભ લઈ આરોપીઓએ અસલી ખેલ શરૂ કર્યો. ફરિયાદીએ પોતાના પિતાના નામે રહેલી 39 લાખની ફિક્સ ડિપોઝિટ તોડાવીને આરોપીઓના હવાલે કરી દીધી હતી. એટલું જ નહીં આરોપીઓએ ફરિયાદીની પત્ની, દાદી અને પુત્રવધૂના અંદાજે 130 તોલા (1 કિલો 300 ગ્રામ) સોનાના દાગીના અને 5 કિલો ચાંદી પણ બળજબરીથી પડાવી લીધ હતા. અસલી દાગીના બદલી નકલી દાગીના લોકરમાં મુકાવ્યાઆરોપીઓ અત્યંત શાતિર હતા. પરિવારને શંકા ન જાય તે માટે તેમણે એક માસ્ટર પ્લાન ઘડ્યો હતો. તેમણે ફરિયાદી પાસેથી પડાવેલા અસલી દાગીનાના ફોટોગ્રાફ્સના આધારે આબેહુબ દેખાતા નકલી (ડુપ્લિકેટ) દાગીના બનાવ્યા હતા. આરોપીઓએ આ નકલી દાગીના ફરિયાદીને આપીને બેંકના લોકરમાં મુકાવી દીધા હતા, જેથી ઘરમાં જ્યારે પણ દાગીનાની વાત નીકળે ત્યારે લોકરમાં દાગીના સુરક્ષિત હોવાનો ભ્રમ જળવાઈ રહે. પુત્રને જાણ થતા મામલો પોલીસ મથકે પહોંચ્યોઆ સમગ્ર ઘટના અઢી વર્ષ સુધી છૂપી રહી હતી. જોકે, તાજેતરમાં ફરિયાદીના પુત્રને આ આખી કરતૂતની જાણ થઈ હતી. પુત્ર જ્યારે આરોપીઓનો સંપર્ક કરી પૂછપરછ કરી, ત્યારે આરોપીઓએ તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આખરે મામલો હદ બહાર જતાં પુત્રએ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ખંડણી અને ગુનાહિત કાવતરાની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ તેજ કરી છે. પોલીસે મુખ્ય બે આરોપીઓની ધરપકડફરિયાદ નોંધાતા જ અઠવા પોલીસ હરકતમાં આવી ગઈ હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી મેહુલ અરૂણકુમાર જડિયા (રહે. મોટા મંદિર પાસે, ચૌટા બજાર) અને વિનોદ જમીયતરામ મનાની (રહે. રાંદેર) ની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ આ ટોળકીએ અન્ય કોઈને આ રીતે શિકાર બનાવ્યા છે કે કેમ તે દિશામાં તપાસ કરી રહી છે. સાથે જ ફરાર આરોપી યુસુફ ચોકસીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. મેહુલ જડિયા હપ્તાખોરીમાં પણ વગોવાયેલો હોવાની ચર્ચાપકડાયેલા આરોપી મેહુલ જડિયા અંગે સ્થાનિક બજારમાં અનેક ચર્ચાઓ વહેતી થઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, મેહુલ ચૌટા બજારના વેપારીઓ પાસે અગાઉ પણ હપ્તા ઉઘરાવવાના મામલે વિવાદમાં આવ્યો હતો. રાજકીય વગ અને મોટા મંદિરના સભ્ય હોવાના નાતે તે વેપારીઓમાં રોફ જમાવતો હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે. હાલમાં તેની ધરપકડ થતાં ભોગ બનનારા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ સાથે રાહતની લાગણી જોવા મળી રહી છે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 9:34 pm

દીકરી પ્રેગ્નન્ટ હોવાની જાણ થતાં માતાના પગ નીચેથી જમીન સરકી:વડોદરામાં 16 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી દીધી, મકરપુરા પોલીસે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ દાખલ કરી, આરોપી પોલીસ પકડથી દૂર

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. દીકરીને 6 મહિનાનો ગર્ભ હોવાની જાણ થતા માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ મામલે મકરપુરા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. પીડિતાની માતાએ જણાવ્યું હતું કે, મારા પતિની તબિયત ખરાબ રહેતી હોવાથી મારી દીકરીએ ડરના માર્યા ઘરે કંઈ જણાવ્યું નહોતું. પણ 6 માર્ચના અમે જ્યારે જમનાબાઈ હોસ્પિટલમાં ચેકઅપ માટે ગયા, ત્યારે ડોક્ટરે કહ્યું કે તે ગર્ભવતી છે. હું તેને વારંવાર પૂછતી અને દવાખાને જવાનું કહેતી, પણ તે આવવાની ના પાડતી હતી. પછી સોનોગ્રાફી કરાવવાનું કહ્યું હતું. એટલે અમે ખાનગી હોસ્પિટલ ગયા હતા, પણ ત્યાં પૈસા વધારે હતા એટલે છેલ્લે સરકારી હોસ્પિટલ ગયા હતા. સરકારી હોસ્પિટલના ડોક્ટરે કહ્યું કે, પોલીસ બોલાવવી પડશે, જેથી અમે ગભરાઈને પાછા જતા રહ્યા હતા. પછી મારા પતિના એક મિત્રને વાત કરી હતી, તેમણે હિંમત આપી કે આપણી કોઈ ભૂલ નથી તો પોલીસથી ડરવાની જરૂર નથી. એટલે અમે ફરિયાદ કરી છે. આરોપીએ કંઈક ચોકલેટ જેવું ખવડાવીને તેની સાથે જબરદસ્તી કરી હતી. અત્યારે મારી દીકરી સયાજી હોસ્પિટલમાં દાખલ છે, તેની તબિયત અત્યારે સારી છે. પીડિત પરિવારે આરોપીનું નામ પોલીસને આપ્યું છે. પરંતુ મકરપુરા પોલીસે અજાણ્યા આરોપી સામે ફરિયાદ દાખલ કરી છે. જોકે આરોપી હજુ સુધી પકડાયો નથી. આ કેસમાં તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 9:33 pm

બોટાદ શાકમાર્કેટમાં ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી:નડતરરૂપ લારી-ગલ્લા હટાવ્યા, આડેધડ પાર્કિંગ સામે દંડ વસૂલ્યો

બોટાદ શહેરના વ્યસ્ત શાકમાર્કેટ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ડ્રાઈવ અંતર્ગત નડતરરૂપ લારી-ગલ્લા હટાવવામાં આવ્યા હતા અને આડેધડ પાર્કિંગ કરનારા વાહનચાલકો સામે દંડ વસૂલવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં શહેર અને જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતા હોવાથી વારંવાર ટ્રાફિક જામ થતો હતો. આડેધડ પાર્કિંગ અને રસ્તા પર ઉભેલા લારી-ગલ્લાને કારણે રાહદારીઓ અને વાહનચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડતી હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા ટ્રાફિક PSI એ.એમ. રાવલ, PSI ચૌધરી અને તેમની ટીમે વિશેષ ડ્રાઈવ ચલાવી હતી. કાર્યવાહી દરમિયાન રસ્તા પર પાર્ક કરાયેલા અનેક વાહનોને ટોઈંગ કરવામાં આવ્યા હતા. રસ્તા પર લારી-ગલ્લા ઉભા રાખતા વેપારીઓને પણ કડક સૂચનાઓ આપવામાં આવી હતી અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરાઈ હતી. જિલ્લા ટ્રાફિક PSI એ.એમ. રાવલે જણાવ્યું હતું કે, શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 9:25 pm

પારાવાડા ચેકડેમમાંથી યુવાનનો લાશ મળી:મધ્યપ્રદેશનો શખસ બે દિવસથી ગુમ, પોરબંદર ફાયર ટીમે યુવકની લાશ બહાર કાઢી

પોરબંદર તાલુકાના પારાવાડા ગામ નજીક આવેલા ચેકડેમમાંથી બે દિવસથી ગુમ થયેલા એક યુવાનનો લાશ મળી આવી છે. પોરબંદર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગની ટીમે મંગળવારે બપોરે લાશને બહાર કાઢી હતી. ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી કે રાહુલ નવલસિંહ નામના યુવાનની લાશ ચેકડેમમાં પડી છે. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની 6 સભ્યોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક યુવાન રાહુલ નવલસિંહ મધ્યપ્રદેશ રાજ્યનો વતની હતો. તે અહીં ખેતી મજૂરીના કામ માટે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ફાયર ટીમે મૃતદેહને ચેકડેમમાંથી બહાર કાઢીને વધુ કાર્યવાહી માટે પોલીસને સોંપ્યો હતો. પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 9:01 pm

રાજકોટમાં દીકરીએ પ્રેમલગ્ન કરી લીધાનું લાગી આવતા માતાનો આપઘાત:આજીડેમ પાસે વૃધ્ધાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું, આપઘાતનું કારણ અકબંધ, સમાધાન માટે બોલાવી યુવકને નોનવેજની હોટેલમાં લઇ જઇ બેફામ મારકૂટ કરી

રાજકોટની શ્રીનાથજી સોસાયટીમાં રહેતાં કાજલબેન દીપકભાઇ રાઠોડ (ઉ.વ.40) નામના મહિલાએ ઘરે ઉપરના માળે ગળાફાંસો ખાઇ લેતાં 108ના EMTએ તપાસી મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. બનાવની જાણ માલવીયાનગર પોલીસને કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં આપઘાત કરનાર કાજલબેનને સંતાનમાં બે દિકરી હોવાનું અને પતિ-પત્ની બન્ને કેટરર્સનું કામ કરતા હોવાનું સામે આવ્યું છે. મોટી દિકરીએ પાંચ મહિના પહેલા પ્રેમ લગ્ન કરી લીધા હતા અને ત્‍યારથી કાજલબેન ગુમસુમ રહેતાં હતાં જેથી આઘાતમાં આત્મઘાતી પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. વૃદ્ધાએ ઝેરી દવા પી કર્યો આપઘાત કુંદનબેન દેવદાસભાઈ નકુમ (ઉં.વ.63)એ આજે સવારે 10 વાગ્યાં આસપાસ પોતે આજીડેમ પાસે આવેલા મેલડી માતાજીના મંદિર પાસે હતા ત્યારે ખળમાં છાંટવાની ઝેરી દવા પી ગયા હતા જેથી તેમને તત્કાલ રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીંથી તેમને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ આજીડેમ પોલીસને કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. સમાધાન માટે બોલાવી યુવકને નોનવેજની હોટેલમાં લઇ જઇ બેફામ મારકૂટ કરી રાજકોટમાં ઇગલ પેટ્રોલ પંપ સામે ખાકટીવાસમાં રહેતો સદામ સમશેરભાઇ કાથરોટીયા (ઉ.વ.26) ઇજાગ્રસ્‍ત હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં પ્રદ્યુમનનગર પોલીસ આવી સદામની ફરિયાદ પરથી ઇરાફન, રાહુલસિંગ, અરમાનબાબુ અને બીમ્‍બો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદી સદામ બપોરે 2 વાગ્‍યા આસપાસ પોતાના ઘરે હતો ત્‍યારે તેના ભાઈ સિકંદરનો ફોન આવ્‍યો હતો. સિકંદરે જણાવ્‍યું હતું કે તે ઈરફાન સાથે ઉભો છે અને જૂના ઝગડા બાબતે સમાધાનની વાત કરવાની છે. તું ભીલવાસ મેઇન રોડ પર આવેલી મિસ્‍ટર ચિકન હોટલ પાસે આવ માટે સદામ ત્‍યાં પહોંચતા જ આરોપી ઈરફાને તેને હોટલની અંદર બોલાવ્‍યો હતો. સદામ અંદર ગયો એટલે તરત જ તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. જાનથી મારી નાખવા ધમકી આપી હોટલની અંદર પૂર્વ આયોજિત કાવતરા મુજબ ઈરફાન, રાહુલસિંહ, અરમાનબાપુ અને બિમ્‍બા નામના શખ્‍સોએ સદામને ઘેરી લીધો હતો. ઈરફાને સદામના વાળ પકડી લીધા હતા અને અન્‍ય શખ્‍સોએ તેને નીચે નમાવી દીધો હતો. ત્‍યારબાદ ચારેય શખ્‍સોએ ભેગા મળીને સદામને પીઠના ભાગે અને શરીરે ઢીકાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. દરમિયાન સદામના ભાઈ સિકંદરે વચ્‍ચે પડીને તેને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. હુમલાખોરોની ચુંગાલમાંથી છૂટીને સદામ જ્‍યારે હોટલની બહાર ભાગવા જઈ રહ્યો હતો ત્‍યારે બિમ્‍બા નામના શખ્‍સે કોઈ અણીદાર વસ્‍તુ વડે હુમલો કરતા સદામને ડાબી આંખની બાજુના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં ભાગી રહેલા સદામને પાછળથી આરોપી ઈરફાને ધમકી આપી હતી કે આજ તો તું બચી ગયો છે, પણ હવે જો કયારેય સામે ભટકાઈશ તો તને જાનથી મારી નાખીશ. ‘વિરાણી ચોકનું મકાન મને દઇ દે નહિતર તને અને નાના ભાઇને મારી નાંખીશ’રૂડાનગર નજીક સરિતા વિહાર પાસે શ્રી હાઉસીંગ સોસાયટીમાં રહેતાં હંસાબેન મહેન્‍દ્રભાઇ ડાભી (ઉ.વ.60) નામના વૃધ્‍ધાની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે તેના પુત્ર રાહુલ મહેન્‍દ્રભાઇ ડાભી વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. હંસાબેન ડાભીએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું મારા નાના દિકરા આશિષ અને તેની પત્‍નિ નંદીની સાથે રહુ છું. મોટો દિકરો રાહુલ તેના પત્‍નિ સાથે અલગ રહે છે. 10.15 વાગ્‍યે હું નાના દિકરા આશિષના ઘરે શ્રી હાઉસીંગ સોસાયટીમાં હતી ત્‍યારે મોટા દિકરા રાહુલે ફોન કરી કહ્યું કે-તું તારું વિરાણી ચોક વાળુ મકાન મને આપી દે. જેથી મેં મકાન મારા નામનું છે અને તે મકાન તને નહિ મળે. આ સાંભળી તેણે ફરીથી મકાન મને આપી દેજે નહિતર તને અને તારા દિકરા આશિષને છરીના ઘા મારી દઇશ અને પતાવી દઇશ તેમ કહી ધમકી આપી હતી. હાલ યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 8:57 pm

સગીરાના 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી:હાઇકોર્ટે વડોદરાની હોસ્પિટલને સગીરાની તપાસના આપ્યા આદેશ

વડોદરાથી એક દુષ્કર્મ પીડિત સગીરાના 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે સગીરા ગર્ભ રાખવા માંગતી નથી. જેથી તેને ગર્ભપાતની મંજૂરી આપવામાં આવે. રિપોર્ટ થશે અને તેના આધારે હાઇકોર્ટ નિર્ણય કરશેગુજરાત હાઇકોર્ટે આ અરજી મુદ્દે વડોદરાની SSG હોસ્પિટલના મેડિકલ બોર્ડને 11 માર્ચના રોજ સગીરાની મેડિકલ તપાસના આદેશ આપ્યા છે. જે ગાયનેકોલોજિસ્ટના હેડ અંતર્ગત કાર્ય કરશે. આ મેડિકલ તપાસનો રિપોર્ટ 12 માર્ચના રોજ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. રિપોર્ટમાં સગીરાના શારીરિક અને માનસિક સ્થિતિ તેમજ તેના ગર્ભપાત કરવામાં રહેલા જોખમ અંગે હોસ્પિટલ માહિતી આપશે. જેના આધારે કોર્ટ આગળ નિર્ણય કરશે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 8:49 pm

પાટીદાર બિલ્ડર હત્યા કેસ, સગીર આરોપીને પુખ્ત ગણી કેસ ચાલશે:મનોચિકિત્સકના અભિપ્રાય બાદ કોર્ટનો નિર્ણય, 25 કરોડની લેતીદેતીમાં સોપારી આપી હત્યા નિપજાવાઈ હતી

અમદાવાદના નિકોલ વિસ્તારમાં સપ્ટેમ્બર, 2025માં થયેલી બિલ્ડર હિંમત રુડાણી હત્યા કેસમાં સગીરા આરોપીને પુખ્ત ગણી ચિલ્ડ્રન કોર્ટમાં કેસ ચાલશે. મનોચિકિત્સકના અભિપ્રાય બાદ કોર્ટ દ્વારા નિર્ણય કરાયો છે. પાટીદાર બિલ્ડરની હત્યા મામલે તેના જ પાર્ટનર મનસુખ લાખાણી, સોપારી લેનાર હિંમાશુ રાઠોડ, પપ્પુ મેઘવાલ અને સગીર આરોપીની ધરપકડ કરવામાં ાવી હતી. મનસુખ લાખાણી અને હિંમત રુડાણી વચ્ચે પાર્ટનરશીપમાં પૈસાની લેતીદેતીમાં મનદુઃખ થતા મનસુખે હત્યા માટે સોપારી આપી હતી. શું હતો સમગ્ર મામલો?13 સપ્ટેમ્બર, 2025ની રાત્રે અમદાવાદના નિકોલ નરોડા રોડ ઉપર આવેલ સૌરાષ્ટ્ર પટેલ સમાજના બેઝમેન્ટ પાર્કિગમાં બિલ્ડર હિંમત રૂડાણીની ઘાતક હથિયારોથી હત્યા કરીને લાશને ગાડીની ડેકીમાં નાખીને ગાડીને વિરાટનગર બ્રિજ નીચે હત્યારાઓએ મૂકી દીધી હતી. આ ઘટનાએ સમગ્ર અમદાવાદ અને બિલ્ડર લોબીમાં ચર્ચા જગાડી હતી. ત્યારે પોલીસે આ કાવતરા પાછળ ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં સોપારી આપનાર મૃતકના પાર્ટનર આરોપી બિલ્ડર મનસુખ લાખાણી, સોપારી લેનાર હિમાંશુ રાઠોડ, પપ્પુ મેઘવાલ અને એક સગીર આરોપીનો સમાવેશ થાય છે. મનસુખ લખાણી સિવાય ત્રણેય આરોપી રાજસ્થાનના છે. આ વિવાદ નિકોલ ખાતે કેન્સ કોર્નર સાઇટના બાંધકામના હિસાબના વિવાદમાં થયો હતો. જેમાં આરોપી મનસુખ લાખાણીએ રાજસ્થાનના આરોપીને બિલ્ડર ભાગીદારની હત્યા કરવા માટે 1.20 કરોડની સોપારી આપી હતી. આરોપીઓ પૈકી સગીર આરોપી 17 વર્ષ અને 07 મહિનાનો છે. જેનો કેસ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ ચાલતો હતો. મૃતકના પુત્રની અપીલ બાદ મનોચિકિત્સકનો અભિપ્રાય લેવામાં આવ્યોમૃતકના પુત્રે અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી ચિલ્ડ્રન્સ કોર્ટમાં અપીલ કરી હતી કે સગીર આરોપી 17 વર્ષ અને 07 મહિનાનો છે. તે ગુન્હો આચરવા અને તેના પરિણામ સમજવા સક્ષમ હતો. જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે મનોચિકિત્સક પાસેથી તેનો અભિપ્રાય મંગાવ્યો હતો, જે પોઝિટિવ આવ્યા છત્તા કેસને બોર્ડ સમક્ષ જ ચલાવવા આગ્રહ રાખ્યો હતો.સગીરના પક્ષે દલીલ કરવામાં આવી હતી કે સગીરા ગુનામાં હોવાના કોઈ CCTV નથી. તેની મનોચિકિત્સક દ્વારા એક જ વાર તપાસ કરવામાં આવી છે. સગીર સામે કોઈ સંતોષકારક પુરાવા નથી. કોર્ટે નોંધ્યું- કિશોર ગુનો કરવા શારીરિક-માનસિક સક્ષમજો કે કોર્ટે નોંધ્યું હતું કે મનોચિકિત્સક રિપોર્ટ મુજબ કિશોર ગુનો કરવા માટે શારીરિક અને માનસિક રીતે સક્ષમ છે. તેની ઉપર ગંભીર આક્ષેપ છે. પોલીસ દ્વારા ફાઈલ થયેલા ડોક્યુમેન્ટસમાં તેની સક્રિય ભૂમિકા દેખાય છે. તેની સામે પ્રથમદર્શી કેસ છે. આથી આરોપીને પુખ્ત વયનો ગણીને તેનો કેસ ચિલ્ડ્રન કોર્ટમાં દાખલ કરવામાં આવે. 25 કરોડની લેતીદેતીમાં હિમત રુડાણીની હત્યા નિપજાવાઈ હતીઅમદાવાદમાં 13 સપ્ટેમ્બરની મોડીરાત્રે વિરાટનગરબ્રિજ નીચેથી ઠક્કરનગરબ્રિજ પાસે આવેલા કૈલાસધામ વિભાગ 1માં રહેતા પાટીદાર અગ્રણી અને બિલ્ડર હિંમતભાઈ રૂડાણીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરેલી લાશ મળી હતી. બીજા દિવસે આ હત્યાકેસના સગીર સહિત 3 આરોપીની રાજસ્થાનના શિરોહીથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓની પૂછપરછમાં હિંમતભાઈ રૂડાણીના પૂર્વ પાર્ટનર મનસુખ લાખાણી ઉર્ફે જેકીએ એક કરોડ રોકડા અને એક મકાનની સોપારી આપી હત્યા કરાવી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. બન્ને વચ્ચે 2020થી વિવાદ શરૂ થયો હતો. જેમાં ઘણીવાર સમાધાન થયા બાદ બાબત શાંત પડી નહોતી. બન્ને વચ્ચેની પાર્ટનરશિપ છૂટી કરવા માટે 25 કરોડની લેતીદેતીમાં મનદુઃખ થયું હતું,જેનું પરિણામ લોહિયાળ આવ્યું. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાની સોપારી આપનાર મનસુખ લાખાણીની ધરપકડ કરી લીધી છે. હત્યા કેસમાં ઝડપાયેલા હિમાંશુ અને પપ્પુને લઈ ઘટનાસ્થળ પર રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 8:30 pm

પોરબંદરમાં 15 કરોડના ખર્ચે આઇકોનિક રોડ બનશે:છાંયા વિસ્તારમાં 2 કિમી લાંબો આધુનિક માર્ગ શહેરને નવી ઓળખ આપશે

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના છાંયા વિસ્તારમાં આશરે 15 કરોડ રૂપિયાના ખર્ચે 2 કિલોમીટર લાંબો 'આઇકોનિક રોડ' બનાવવામાં આવશે. આ આધુનિક માર્ગ શહેરના વિકાસને નવી ઓળખ આપશે અને નાગરિકો માટે સુવિધાઓમાં વધારો કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ નવી બનેલી મહાનગરપાલિકાઓમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાના ભાગરૂપે આ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આ કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે. આ પ્રોજેક્ટ અંતર્ગત રોડની બંને બાજુ 6.50 મીટર પહોળો મુખ્ય માર્ગ, 1.70 મીટર પાર્કિંગ જગ્યા અને 1.50 મીટર પહોળી ફૂટપાથ બનાવવામાં આવશે. માર્ગની મધ્યમાં 0.60 મીટર પહોળું ડિવાઈડર હશે, જેમાં 1.2 મીટર (4 થી 6 ફૂટ) ઊંચાઈના કદંબ, ગુલમહોર અને લીમડા જેવા વૃક્ષો રોપવામાં આવશે. રોડ પર દર 10 મીટરના અંતરે કુલ 450 ડેકોરેટિવ સ્ટ્રીટ લાઈટ સ્થાપિત કરવામાં આવશે, જે રાત્રિના સમયે માર્ગને રોશનીથી ઝળહળતો રાખશે. શહેરીજનોની સુવિધા માટે 12 અતિ આધુનિક બસ સ્ટેન્ડ, 350 બેંચ અને સ્વચ્છતા જાળવવા માટે 32 ડસ્ટબીન મૂકવામાં આવશે. પાણી, ગેસ, ઇલેક્ટ્રિક અને કોમ્યુનિકેશન કેબલ જેવી તમામ યુટિલિટી સેવાઓ અંડરગ્રાઉન્ડ કરવામાં આવશે, જેનાથી લાંબા ગાળે જાળવણી ખર્ચ ઘટશે અને શહેરનું સૌંદર્ય જળવાઈ રહેશે. આ રોડ પર બંને બાજુ સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ પણ બનાવવામાં આવશે, જેથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા ટાળી શકાય. સલામતી માટે મજબૂત રેલિંગ, કેટાઈ, થર્મોપ્લાસ્ટર માર્કિંગ અને સાઈન બોર્ડ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાશે. આ આઇકોનિક રોડ પૂર્ણ થતાં છાંયા વિસ્તારને નવી ઓળખ મળશે, નાગરિકોની સુરક્ષા વધશે અને ટ્રાફિક વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનશે. આ પ્રોજેક્ટથી સ્થાનિક પ્રોપર્ટી વેલ્યુમાં વધારો થવાની સાથે પ્રવાસનને પણ મોટું પ્રોત્સાહન મળશે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 8:28 pm

કલેક્ટર ઉપાધ્યાયે મહિલાઓને સ્વાભિમાન સાથે આગળ વધવા હાકલ કરી:સરકારી યોજનાના લાભાર્થીઓને ચેક અપાયા, નારી શક્તિનું સન્માન કરાયું

ગીર સોમનાથ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ગૌરવપૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી. સોમનાથ મંદિર નજીક રામ મંદિર ઓડિટોરિયમ હોલ ખાતે “Right Justice for All Women and Girls” થીમ હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે મહિલાઓને સ્વાભિમાન સાથે આગળ વધવા હાકલ કરી હતી. આ પ્રસંગે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને ચેક અને સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી. કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મહિલાઓએ પોતાના સ્વાભિમાનને ઉન્નત રાખીને જીવનના દરેક ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે આજના સમયમાં મહિલાઓ શિક્ષણ, રમતગમત, ઉદ્યોગ અને રાજકારણ સહિત અનેક ક્ષેત્રોમાં આગવી સિદ્ધિઓ હાંસલ કરી રહી છે. જોકે, ગામડાં અને દૂરદરાજના વિસ્તારોમાં ઘણી મહિલાઓ હજુ પણ પોતાના અધિકારો અને સરકારી યોજનાઓથી અજાણ છે, તેમને જાગૃત કરવા આવા કાર્યક્રમો જરૂરી છે. કાર્યક્રમ દરમિયાન વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અને મહિલા સ્વાવલંબન યોજના સહિત વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયના ચેક અને મંજૂરી હુકમો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, માછીમારી, પશુપાલન, સખી મંડળ અને રમતગમત જેવા ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહિલાઓને પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવી હતી. જિલ્લા બાળ સંરક્ષણ આયોગના સભ્ય અમૃતા અખિયાએ ભારતીય મહિલાઓના બદલાયેલા સ્વરૂપ અને સમાજમાં તેમની આગવી ઓળખ અંગે વાત કરી હતી. રેન્જ ફોરેસ્ટ ઓફિસર રસીલાબેન વાઢેરે મહિલાઓને હિંમત, આત્મવિશ્વાસ અને સંકલ્પ સાથે આગળ વધવા પર ભાર મૂક્યો હતો. સાઇબર ક્રાઇમ વિભાગના મહિલા એએસઆઈ ધારાબેન મોરીએ વધતા સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ ફેલાવી મહિલાઓને ડિજિટલ પ્લેટફોર્મ પર સાવચેતી રાખવા માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા મહિલા અને બાળ અધિકારી એમ.જી. વારસૂરે કાર્યક્રમની ભૂમિકા આપી સૌનું સ્વાગત કર્યું હતું, જ્યારે દહેજ પ્રતિબંધક અધિકારી સોનલબેન રાઠોડે આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં મદદનીશ ઉદ્યોગ કમિશનર હાર્દિકસિંહ વાઘેલા સહિત અનેક અધિકારીઓ અને જિલ્લાભરની નારીશક્તિ ઉત્સાહભેર જોડાઈ હતી.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 8:16 pm

ટંકારામાં 26.04 લાખનો ચોરીનો મુદ્દામાલ મૂળ માલિકને પરત:કલ્યાણપર ગામેથી ચોરાયેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સુપ્રત કરાઈ

ટંકારાના કલ્યાણપર ગામેથી ચોરાયેલા ₹26.04 લાખના મુદ્દામાલને પોલીસે મૂળ માલિકને પરત કર્યો છે. પોલીસે ચોરીના આરોપીને ઝડપી પાડી, મુદ્દામાલ કબજે કર્યો હતો અને કોર્ટની મંજૂરી બાદ SPની હાજરીમાં આ કાર્યવાહી કરવામાં આવી. આ ઘટના ગત 14 ફેબ્રુઆરીના રોજ બની હતી. કલ્યાણપર ગામના જયંતીલાલ ઉજરીયાનું મકાન સવારે 9:30 થી બપોરે 1:30 દરમિયાન બંધ હતું, ત્યારે તસ્કરે તેને નિશાન બનાવ્યું હતું. ઘરમાંથી સોનાના બે મંગળસૂત્ર, એક જોડી પાટલા, એક જોડી બુટ્ટી, સોનાનો ઓમ, ચાંદીના એક જોડી પાટલા, સોના-ચાંદીની ગીનીઓ અને ₹2.12 લાખ રોકડા સહિત કુલ ₹26.04 લાખથી વધુની ચોરી થઈ હતી. જયંતીલાલ ઉજરીયાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ હાથ ધરી આરોપી સોહિલ સતારભાઈ દલની ધરપકડ કરી હતી. આરોપીએ ચોરી કરેલો મુદ્દામાલ ગામ નજીકના કબ્રસ્તાનમાં દાટ્યો હતો, જ્યાંથી પોલીસે તેને કબજે કર્યો હતો. આરોપીની ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરાયો હતો. ત્યારબાદ, કોર્ટમાંથી મંજૂરી મેળવીને મોરબી જિલ્લા SP કચેરી ખાતે ફરિયાદીને બોલાવવામાં આવ્યા હતા. SP મુકેશકુમાર પટેલ, DYSP સમીર સારડા, LCB PI એમ.પી. પંડ્યા અને ટંકારાના PI કે.એમ. છાસીયાની હાજરીમાં ભોગ બનેલા પરિવારને ₹26.04 લાખનો મુદ્દામાલ સુપ્રત કરવામાં આવ્યો.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 8:12 pm

છોટાઉદેપુરના કુંડા ગામની પ્રસૂતાને ઝોળીમાં ઊંચકવી પડી:ધોમધખતા તાપમાં સ્વજનોએ એક કિમી ખેતર અને ડુંગરા ઓળંગવા પડ્યા, પહેલા પ્રાઈવેટ વાહન પછી 108માં હોસ્પિટલ ખસેડાઈ

છોટા ઉદેપુર જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં આઝાદીના દાયકાઓ પછી પણ પાકા રસ્તાના અભાવે પ્રજાની હાલાકી યથાવત છે. નસવાડી તાલુકાના નલિયાબારી ગામમાં રસ્તો ન હોવાથી એક ગર્ભવતી મહિલાને હોસ્પિટલ પહોંચાડવા માટે પરિવારજનોએ તેને કાપડની ઝોળીમાં ઊંચકીને 1 કિમી સુધી ચાલવું પડ્યું હતું. સદનસીબે, સમયસર સારવાર મળતા મહિલાએ બાળકીને જન્મ આપ્યો છે. કુંડાની સગર્ભાને પ્રસૂતિની પીડા ઉપડીનસવાડી તાલુકાના કુંડા ગામના નલિયાબારી ફળિયામાં રહેતા જીવલીબેન ભીલને સવારે 9:00 વાગ્યે પ્રસૂતિની પીડા ઉપડી હતી. ગામમાં પાકો રસ્તો ન હોવાથી એમ્બ્યુલન્સ આવી શકે તેમ નહોતી. પરિણામે, પરિવારજનોએ મજબૂરીમાં કાપડની ઝોળી બનાવી મહિલાને 1 કિમી દૂર કાચા રસ્તા સુધી ઊંચકીને લઈ ગયા હતા. ત્યાંથી ખાનગી વાહન દ્વારા પાકા રસ્તા સુધી પહોંચ્યા બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને દુગ્ધા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. હોસ્પિટલમાં સાંજે 4:00 વાગ્યાના અરસામાં મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. અગાઉની ઘટનામાં હાઈકોર્ટનો હસ્તક્ષેપછોટા ઉદેપુર જિલ્લો ડુંગરાળ અને અંતરિયાળ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવે છે, પરંતુ અહીં પાયાની સુવિધાઓનો ભારે અભાવ છે. આ પૂર્વે 1 ઓક્ટોબર, 2022ના રોજ તુરખેડામાં પણ આવી જ ઘટના બની હતી, જેમાં એક મહિલાનું રસ્તામાં જ પ્રસૂતિ બાદ મોત નીપજ્યું હતું. સુઓમોટો સંજ્ઞાન: આ ઘટના બાદ ગુજરાત હાઈકોર્ટે જાતે સંજ્ઞાન (સુઓમોટો) લઈ તંત્ર પાસે જવાબ માંગ્યો હતો. કાગળ પર મંજૂરી: હાઈકોર્ટના હસ્તક્ષેપ બાદ રસ્તો તાત્કાલિક મંજૂર કરવામાં આવ્યો હતો, પરંતુ વાસ્તવિકતા એ છે કે હજુ સુધી ત્યાં રસ્તાનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું નથી. સ્થાનિકોની માગવારંવાર બનતી આવી ઘટનાઓને પગલે સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની માંગ છે કે ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારોમાં વહેલી તકે પાકા રસ્તા બનાવવામાં આવે જેથી ઈમરજન્સી સમયે દર્દીઓ અને પ્રસૂતાઓને સમયસર હોસ્પિટલ પહોંચાડી શકાય અને જીવનું જોખમ ટાળી શકાય.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 8:12 pm

અમે નાના હતાં ત્યારથી જેતલપુર પૂનમ ભરવા આવતા: જગદીશ વિશ્વકર્મા:સ્વામિનારાયણ જેતલપુરધામના રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાના 200 વર્ષ નિમિત્તે કાર્યક્રમનો છઠ્ઠો દિવસ

ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે જે નવ મંદિરો નિર્માણ કર્યા તેમાંનાં પાંચમાં જેતલપુરધામમાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠા કરી તેને આગામી વિ. સ. 2082 ફાગણવદ આઠમ તા. 11-03-2026ના શુભમંગલ દિવસે 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તેના ભાગરુપે નરનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. 1008 આચાર્ય કોશલેન્દ્રપ્રસાદજી મહારાજ તથા મોટા મહારાજ પ.પૂ. તેજેન્દ્રપ્રસાદજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી ભાવી આચાર્ય પ.પૂ.108 વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના અધ્યક્ષ પદે દ્વિશતાબ્દી પાટોત્સવની તા.05 માર્ચથી તા.11 માર્ચ સુધી ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. આ ઉજવણીના ભાગરૂપે આયોજિત ભવ્ય કાર્યક્રમ “અવસર”નાછઠ્ઠા દિવસે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યાં હતાં. આ પાવન પ્રસંગે હજારો હરિ ભક્તોને સંબોધન કરતાં જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, અમે નાના હતાં ત્યારથી જેતલપુર પૂનમ ભરવા આવતા અને ક્યારેય વિચાર્યું ન હતું કે ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ મળશે. જેતલપુરધામનો 200 વર્ષનો ઈતિહાસ નાનો નથી. તેમણે ઉમેર્યું હતું કે, અહીં જે કામ થઇ રહ્યું છે, તેના પગલે-પગલે અમે ચાલીએ છીએ અને સનાતન ધર્મનો પ્રચાર થઇ રહ્યો છે. ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે ભાવ વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે, મંદિર સાથે સંપર્ક રહેશે તો તમે જીવંત રહેશે. આપણે બધાએ મંદિર સાથે જોડાણ રાખવાનું છે.આજના ટેક્નોલોજી અને એઆઇના યુગમાં આપણા દીકરા-દીકરીઓનું મંદિર સાથે કનેક્શન નબળું પડશે તો જીવનનું એક અગત્યનું કાગળ ઉખડીને ક્યાંક પડી ગયું હોય તેવો અહેસાસ થશે. તેમણે જણાવ્યું હતું કે, જેતલપુર નગરની આ આધ્યાાત્મિકતાની ભૂમિ ઉપર સ્વચ્છતા, પર્યાવરણ શુદ્ધિ, અંતરિક્ષ વિજ્ઞાનની નગરી, ઓપરેશન સિંદૂરની પ્રદર્શની, બાળ નગરી, રક્તદાન શિબિર, જ્ઞાનવર્ધક મંચ, અને વ્યસન મુક્તિ સંબંધિત પ્રદર્શની ઉભી કરાઇ છે. તેનાથી અહીં મુલાકાત લેતાં દરેક વ્યક્તિ ઘણું ગ્રહણ કરીને જાય છે. આ પ્રસંગે મેઘમણી પરિવારના નટુભાઈ પટેલ, સ્માર્ટ મીટર્સ ટેકનોલોજીસના રાકેશભાઈ શાહ, ગુજકોમાસોલનાં ચેરમેન બિપિનભાઈ પટેલ, રીટાયર્ડ ચીફ જસ્ટીસ ગુજરાત રાજ્ય શ્રી એ. એલ. દવે જેવા મહાનુભાવો હાજર રહ્યાં હતાં.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 8:07 pm

વેરાવળ બંદરે ફિશિંગ બોટમાં આગ લાગી:આગની જ્વાળાઓ અને ધુમાડો ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો, ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો, બોટ બળીને ખાખ

વેરાવળ શહેરના ભીડીયા બંદર વિસ્તારમાં આજે સાંજે એક ફિશિંગ બોટમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાને પગલે બંદર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વેરાવળ ફાયર બ્રિગેડની તાત્કાલિક કામગીરીના કારણે આગને કાબૂમાં લેવામાં આવી હતી, સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ એક બોટ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ, ભીડીયા બંદરના ગોદી વિસ્તારમાં દરિયાકાંઠે લંગારેલી એક માછીમારી હોડીમાં સાંજના સમયે અચાનક આગ લાગી હતી. આગની જ્વાળાઓ અને ધુમાડો ઉઠતા આસપાસના માછીમારો અને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. થોડા જ સમયમાં આગ બોટમાંથી નજીકમાં રાખવામાં આવેલી માછીમારીની જાળીઓ તરફ પણ ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં જ વેરાવળ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર કર્મચારીઓએ ઝડપથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ફાયર વિભાગની સતર્ક કામગીરીના કારણે આગ આસપાસ લંગારેલી અન્ય બોટ સુધી ફેલાતી અટકી હતી, જેનાથી મોટું નુકસાન ટળ્યું હતું. આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જે રાહતની વાત છે. જોકે, આગના કારણે એક માછીમારની ફિશિંગ બોટ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી, જેના પરિણામે તેને મોટું આર્થિક નુકસાન થયું હોવાનું મનાય છે. પ્રાથમિક અનુમાન મુજબ, હાલ જિલ્લામાં પ્રવર્તી રહેલી તીવ્ર ગરમી અને હીટવેવના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમ છતાં, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ફાયર વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા આગ લાગવાના કારણોની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ બંદર વિસ્તારમાં આગ સલામતી અંગે વધુ સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 8:07 pm

Editor’s View : યુદ્ધ વખતે જ ઈરાનના બે દોસ્ત ચૂપ:પડદા પાછળ રશિયા અને ચીન ખિચડી રાંધે છે; કેમિકલ વેપન ભરેલા ચીનથી નીકળેલા બે જહાજનું રહસ્ય ઘેરાયું

ચીન અને રશિયા. આ બે મોટા એવા દેશો છે જેને ઈરાન સાથે સંબંધ સારા છે. સવાલ એ છે કે ઈરાન પર હુમલા થઈ રહ્યા છે. તેહરાન યુદ્ધભૂમિમાં ફેરવાઈ ગયું છે. ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીનું મોત થઈ ચૂક્યું છે. આ બધા વચ્ચે સવાલ એ છે કે ઈરાનના સાથી દેશો ક્યાં છે, જે સંકટ સમયે ઈરાનની પડખે ઊભા રહેતા હતા? આખરે આ માહોલ વચ્ચે રશિયા અને ચીને ઈરાનથી કેમ મોઢું ફેરવી લીધું? તમને યાદ હોય તો 24 ફેબ્રુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પે એક જ દિવસમાં ત્રણવાર ફોન ઘૂમેડ્યા હતા. પહેલો ફોન રશિયા પુતિનને કર્યો. એક કલાક વાત થઈ. તરત બીજો ફોન ચીનમાં જિનપિંગને લગાવ્યો. દોઢ કલાક વાત થઈ. ફરી ત્રીજો ફોન પુતિનને લગાવ્યો. ત્રણેય મોટા દેશના રાષ્ટ્રપતિઓએ ચાર-પાંચ કલાક ફોનમાં જ કાઢ્યા. આ વાત થઈ ને તેના ચાર જ દિવસમાં ઈઝરાયલ-અમેરિકાએ સાથે મળીને ઈરાન પર હુમલા શરૂ યુદ્ધ છેડી દીધું. રશિયા, ચીન અને અમેરિકા વચ્ચે એવી તે કઈ ડીલ થઈ હશે કે ઈરાન પર હુમલા પછી પણ ચીન અને રશિયા ચૂપ બેઠા છે? ત્રણેય મહાસત્તાઓનો પડદા પાછળનો ખેલ શું છે? આજે તેની વાત... નમસ્કાર, ઈરાન હુમલા પછી ચીન ચૂપ છે. તેનું કારણ એ છે કે ચીનને તાઈવાન કબજે કરવું છે. તાઈવાન આસપાસ અમેરિકી વોર શિપ છે. ચીન ઈચ્છે છે કે અમેરિકા પોતાની વોર શિપ તાઈવાન પાસેથી હટાવી લે. 31 માર્ચે ટ્રમ્પ ચીન જવાના છે ત્યારે કોઈ ડીલ થઈ શકે. ચીનને અમેરિકાની ગરજ છે એટલે ચૂપ છે. રશિયા પહેલેથી ઈરાનનું મિત્ર રહ્યું છે. ઈરાન પર હુમલો થયો ત્યારે પુતિને ટીકા કરી હતી. ખામેનીનું મોત થયું ત્યારે પુતિને આ માનવતાની વિરૂદ્ધનું કૃત્ય ગણાવ્યું. ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા નિયુક્ત થયા ત્યારે પુતિને અભિનંદન આપ્યા. આ બધું તો ઠીક, પણ રશિયા ઈરાનનું મિત્ર હોવા છતાં સીધી રીતે યુદ્ધમાં ઘૂસ્યું નથી. એ પણ પ્રેક્ષકની જેમ જોયા કરે છે. રશિયાને અત્યારે ગ્લોબલ ઓઈલ માર્કેટમાં તક દેખાય છે. ઈરાનની કમર ભાંગી જશે તો દુનિયા રશિયા પાસેથી વધારે ઓઈલ ખરીદશે. એટલે પુતિન મનમાં તો ઈચ્છે જ છે કે યુદ્ધ ચાલુ રહે. પહેલા ઈરાન અને ચીનના સંબંધની વાત કરીએ… ખામેનીએ છેલ્લી વિદેશ યાત્રા ચીનની કરી હતી યુદ્ધની અસર ચીન સુધી પહોંચી છે. આમ તો ચીન પાસે ક્રૂડ ઓઈલનો પૂરતો ભંડાર છે છતાં ચીનને ઓઈલ માટે તેના પાડોશી દેશ રશિયાની મદદની જરૂર પડી શકે છે. ચીન વિચારે છે કે લાંબા ગાળે આ યુદ્ધની શું અસર થશે. મિડલ ઈસ્ટમાં ચીનના રોકાણ પર અસર પડશે, તેથી ચીન ચિંતામાં છે. ચીન લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યું છે. તોતિંગ દેવું, પ્રોપર્ટી સંકટના કારણે ચીનની આર્થિક હાલત નબળી છે. જો મિડલ ઈસ્ટમાં યુદ્ધ લાંબુ ચાલશે તો તેની અસર એ ક્ષેત્રોમાં પણ પડશે જે ચીન માટે મહત્વના છે. યુદ્ધ લાંબુ ચાલશે તો આનાથી ચીન લાંબા સમયના હિતોને નુકસાન પહોંચાડી શકે. ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીની છેલ્લી વિદેશ યાત્રા 1989માં ચીનની હતી. તેમણે ગ્રેટ વોલ પાસે ફોટો પડાવ્યો હતો. 2016માં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ ઈરાન ગયા ત્યારે બંને દેશોના સંબંધો વધારે ગાઢ બન્યા. એ પછી 2021માં બંને દેશોએ 25 વર્ષના રણનીતિક સહયોગ પર હસ્તાક્ષર કર્યા. ચીને ઈરાનમાં 25 વર્ષમાં 400 અબજ ડોલરના રોકાણનું વચન આપ્યું, તેની સામે ઈરાને ઓઈલ સપ્લાય ચાલુ રાખવાનું વચન આપ્યું. 2021 પછી ચીને રોજ ઈરાન પાસેથી 14 લાખ બેરલ ઓઈલ આયાત કરતું રહ્યું. હવે ઓઈલની આયાતને અસર થઈ છે. યુદ્ધના માહોલ વચ્ચે ચીન સમજી વિચારીને પગલાં ભરી રહ્યું છે. એનું સૌથી મોટું કારણ એ છે કે માર્ચના એન્ડમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન જવાના છે. યુદ્ધ પછી ચીને ટ્રમ્પનું કે અમેરિકાનું નામ લઈને સીધો હુમલો નથી કર્યો. કારણ કે જિનપિંગને ટ્રમ્પની ગરજ છે. ભરપૂર ઈરાની ઓઈલ સંગ્રહીને બેઠું છે ચીન ઈરાનથી ચીન પહોંચેલા ઘણા ઓઈલની અસલ ઓળખ છુપાવવા તેને 'મલેશિયન ઓઇલ' તરીકે દેખાડવામાં આવ્યું. એશિયામાં લગભગ 4.6 કરોડ બેરલ ઈરાની ઓઇલ સમુદ્રમાં સ્ટોરેજ જહાજોમાં રાખેલું છે. ચીનના ડાલિયાન અને ઝોઉશાન બંદર પર પુષ્કળ ઓઇલનો સંગ્રહ છે જ્યાં ઈરાનની રાષ્ટ્રીય ઓઇલ કંપનીએ ભાડે ઓઈલ ટેન્કરો રાખેલા છે. બંને દેશો વચ્ચે હથિયારોની લેવડ-દેવડના આરોપો પણ લાગ્યા છે. પણ ચીન ના પાડતું રહ્યું છે કે અને ઈરાનને કોઈ હથિયાર આપ્યા નથી. અમેરિકાની જાસૂસી એજન્સીઓનો આરોપ છે કે ચીને ઈરાનના બેલિસ્ટિક મિસાઇલ પ્રોગ્રામમાં એન્જિનિયરોને ટ્રેનિંગ અને સાધનો આપીને મદદ કરી હતી. આ કારણથી કેટલાક પશ્ચિમી મીડિયાએ ચીન, ઈરાન, ઉત્તર કોરિયા અને રશિયાને 'અસ્થિરતાની ધરી' ગણાવ્યાં હતાં. ઈરાનની ઈચ્છા રહી છે કે તે ચીનના રોડ એન્ડ બેલ્ટ ઈનિશિયેટિવનો ભાગ બને. તો ચીનને ઈરાનમાં મોટું રોકાણ કરવું હતું. ચીન માટે ઈરાન એટલે જરૂરી છે કે ચીન પોતાની જરૂરિયાતનું 87% ક્રૂડ ઓઈલ ઈરાન પાસેથી ખરીદે છે. ચીનની ઈકોનોમી માટે ઈરાનનું ઓઈલ લાઈફ લાઈન છે. પણ ચીનની કૂટનીતિનો સ્પષ્ટ નિયમ છે કે કોઈપણ બે દેશ વચ્ચેના યુદ્ધ જેવા માહોલમાં ડાયરેક્ટ દખલ નહીં આપવાની. ચીન ઈચ્છે છે કે ઈરાનમાં શાંતિ રહે. એટલે ત્યાંનું ઓઈલ કોઈપણ જાતના વિઘ્ન વગર આવતું રહે અને તેનું રોકાણ સુરક્ષિત રહે. એટલે ચીન ઈરાન યુદ્ધમાં કૂદીને અમેરિકા સાથે દુશ્મની નહીં કરે. આંતરરાષ્ટ્રીય પોલિટિક્સમાં કોઈ કોઈનું સગું નથી હોતું. રશિયા અને ચીનને ઈરાનનો સાથ ત્યાં સુધી પસંદ છે જ્યાં સુધી પોતાને નુકસાન ન વહોરવું પડે. ઈરાનને હવે સમજાઈ ગયું છે કે પશ્ચિમી દેશો માત્ર વાતોના વડાં કરે છે. ખરા સમયે કોઈ ઊભું રહેતું નથી. આખરે ચીનના મનમાં ચાલે છે શું? ચીન અમેરિકા સાથે ટ્રેડ વોરમાં ગૂંચવાયેલું છે. હવે મિડલ ઈસ્ટના યુદ્ધથી અસ્થિરતા વધી શકે છે. આ યુદ્ધ લાંબા સમય સુધી ચાલે તો ચીનને ગંભીર અસર થઈ શકે છે. ખાસ કરીને હોર્મુઝની સ્ટ્રેટમાં જહાજોનું આવ-જા બંધ થઈ ગઈ છે એટલે વધારે નુકસાન થશે. ચીન એક મોટી આર્થિક સત્તા હોવા છતાં અમેરિકાના સ્તરનું સુપરપાવર નથી. એ વાત ચીન પણ જાણે છે અને એટલે જ ચૂપ છે. ચીન કદાચ એવી દુનિયા નથી ઇચ્છતું, જેમાં અમેરિકાનો સંપૂર્ણ કંટ્રોલ હોય. પરંતુ તે એવી દુનિયા પણ નથી ઈચ્છતું જેમાં અમેરિકા આટલું અસ્થિર ખેલાડી બની જાય. ચીન ઈચ્છે છે કે આખી દુનિયામાં બે જ સુપર પાવર હોય. અમેરિકા અને ચીન. એટલે ચીન શાંત છે. ચીન ઈચ્છે છે કે અમેરિકા સાથે હાથમાં હાથ મિલાવીને આગળ વધીને સુપર પાવર બનવું. પણ અમેરિકા ઈચ્છે છે કે આખી દુનિયામાં અમેરિકા જ સુપર પાવર રહે. ચીન તો દૂર દૂર સુધી દેખાય જ નહીં. હવે માર્ચ એન્ડમાં બંને મોટા દેશના રાષ્ટ્રપતિની મુલાકાત આવનારા સમયનું ભવિષ્ય નક્કી કરશે. ચીનથી ઈરાનના બે જહાજ નીકળ્યા, તેમાં શું છે? ઈરાનની સરકારી શિપિંગ કંપનીના બે જહાજો ચીનના ગાઓલાન બંદરથી ફરી ઈરાન તરફ રવાના થયા છે. યુદ્ધ વચ્ચે ચીનથી બે જહાજોનું નીકળવું એ ઘણા પ્રશ્નો ઊભા કરે છે. અમેરિકન એજન્સીઓ આ શિપ પર વોચ રાખી રહી છે. અમેરિકાના મીડિયાના રિપોર્ટ મુજબ આ શિપમાં મિસાઈલ બનાવવા માટે મિલિટરી કેમિકલ્સ લઈ જતા હોય એવું બની શકે. જો આ બંને શિપ ઈરાન પહોંચે તો ઈરાન વધારે હથિયાર બનાવીને હુમલા ચાલુ રાખી શકે છે અને યુદ્ધ લાંબુ ચાલી શકે છે. ગાઓલાન બંદર ચીનના દક્ષિણપૂર્વ કિનારે ઝુહાઈ શહેરમાં સ્થિત છે. તે એક કેમિકલ લોડિંગ પોર્ટ છે. જ્યાં આધુનિક હથિયારો અને મિસાઇલો માટેના કેમિકલ લોડ કરવામાં આવે છે. અમેરિકન અખબાર ધ વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, શબ્દીસ અને બર્જિન નામના જહાજોની કેપેસિટી એવી છે કે તે 20 ફૂટ લાંબા 21 હજાર કન્ટેનર લઈ જઈ શકે છે. તેઓ ચીનથી સોડિયમ પરક્લોરેટ કેમિકલ લઈ જઈ રહ્યા હોવાની શક્યતા છે. સોડિયમ પરક્લોરેટ એ એક હાઈ-પાવર ધરાવતું ઓક્સિડાઇઝર છે. જેનો ઉપયોગ એમોનિયમ પરક્લોરેટ ઉત્પન્ન કરવા માટે થાય છે. એમોનિયમ પરક્લોરેટ એ મિસાઈલનું ઈંધણ છે. બંને જહાજ પર અમેરિકા હુમલો કરશે કે કેમ? સવાલ એ છે કે ચીનથી ઈરાન જવા બે જહાજ નીકળી તો ગયા છે પણ અમેરિકા આ જહાજને ઈરાન સુધી પહોંચવા દેશે? જો આ બંને શિપ પર અમેરિકા હુમલો કરશે તો શું થશે? હાલમાં બંને જહાજો દક્ષિણ ચીન સમુદ્ર પાર કરી ચૂક્યા છે અને મલક્કા સ્ટ્રેટ સુધી પહોંચી ગયા છે. ઈરાન પહોંચવા માટે બંનેએ હોર્મુઝની સ્ટ્રેટ પાર કરવી પડશે. જ્યાં યુએસ અને ઈરાની કાફલા તૈનાત છે. ત્યાં પણ હુમલાઓ થઈ રહ્યા છે. ચાબહાર બંદર પર પણ હુમલો કરવામાં આવ્યો છે. તાજેતરમાં બંદર અબ્બાસની આસપાસ કાળા ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા.આ બધું જોતાં એવું લાગે છે કે આ બંને ઈરાની શિપને પહોંચવું મુશ્કેલ છે. ચીન પાછલા બારણેથી મિત્રતા નિભાવી રહ્યું છે ચીન અને ઈરાન કટ્ટર મિત્રો છે. અત્યારે ચીન ઘણું કરવા માગે છે પણ ટ્રમ્પની ગરજ છે એટલે ચીન સીધું ઈરાનની તરફેણમાં આવતું નથી. હવે ચીન પાછલા બારણેથી ઈરાનને મદદ કરી રહ્યું છે. ચીન ઈરાની જહાજમાં મિસાઈલ બનાવવાનો સામાન રવાના કરી રહ્યું છે. યુદ્ધ દરમિયાન ચીન ઈરાનને સોડિયમ પરક્લોરેટ કેમ મોકલી રહ્યું છે? તેની પાછળ ચાર મુખ્ય કારણો હોઈ શકે છે... ઈરાનની મિસાઈલની અછત ન થાય: ઈરાન તેના બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમ માટે કાચા માલની અછતનો સામનો કરી રહ્યું છે. ચીન આ જ ખપતને પૂરી કરી રહ્યું છે. જેથી ઈરાનનું મિસાઈલ પ્રોડક્શન અટકે નહીં અને તેની મારક ક્ષમતા યથાવત રહે. 25 વર્ષની ભાગીદારી: 2021માં ચીન અને ઈરાને 25 વર્ષની વ્યૂહાત્મક ભાગીદારી પર હસ્તાક્ષર કર્યા. આ કરાર હેઠળ ચીનને સસ્તું ઈરાની ઓઈલ મળે છે. ચીન હથિયારો, ફાઈટર જેટ અને દારૂગોળો સહિતની ટેકનોલોજી અને રો-મટિરિયલ પૂરાં પાડે છે. એનર્જી સિક્યોરિટી: ચીન ઈરાનનું 80% ઓઈલ સસ્તા ભાવે ખરીદે છે. આ ચીનના તેલ વપરાશના આશરે 15%નું પ્રતિનિધિત્વ કરે છે. જો ઈરાન નબળું પડે છે તો યુએસનું વર્ચસ્વ વધશે અને પાવર શિફ્ટ થશે. આ ચીનના ઓઈલ વેપાર અને ઈકોનોમીને અસર કરશે. અમેરિકાને ગૂંચવાયેલું રાખવું: ચીન ઇચ્છે છે કે અમેરિકા લાંબા સમય સુધી મિડલ ઈસ્ટના યુદ્ધમાં ફસાયેલું રહે. જો અમેરિકાનું સંપૂર્ણ ધ્યાન મિડલ ઈસ્ટ પર રહેશે તો ચીન આ ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ વધારશે અને તાઇવાનને કબજે કરવાનો પ્રયાસ કરશે. હવે વાત કરીએ ઈરાન અને રશિયાની… રશિયા-ઈરાન વચ્ચે શું કરાર થયા છે? રશિયા અને ઈરાનનો સંબંધ પણ મૈત્રીપૂર્ણ રહ્યો છે. બંને દેશ ઓઈલના કિંગ છે. ઈરાનને પૈસા જોઈએ છે અને રશિયાને હથિયાર. ઈરાન પાસે જે વેપન સ્કીલ છે તેવી રશિયા પાસે પણ નથી. ઈરાન પાછલા બારણે રશિયાને હથિયાર, બેલેસ્ટિક મિસાઈલ મોકલતું રહ્યું. ધીમે ધીમે રશિયા-ઈરાનના સંબંધો દુનિયા સામે છતા થવા લાગ્યા. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાં જાન્યુઆરી 2025માં રશિયા ગયા હતા. એ વખતે રશિયા અને ઈરાન વચ્ચે બહુ મોટી રણનીતિક સહકારના કરાર પર હસ્તાક્ષર થયા હતા. આ ડીલમાં બિઝનેસ, ટ્રાન્સપોર્ટ કોરિડોર અને સૈન્ય સહયોગ જેવા કરાર સામેલ હતા. આ જ સમયે હિન્દ મહાસાગરમાં ઈરાન અને રશિયાની નેવીનો સંયુક્ત યુદ્ધ અભ્યાસ ચાલી રહ્યો હતો. આ બધું જોતાં એવું લાગતું હતું કે રશિયા ઈરાન માટે કોઈપણ હદે જઈ શકે છે. પણ જ્યારે અસલી યુદ્ધ શરૂ થયું ત્યારે રશિયાની સેના ક્યાંય નજર ન આવી. આનું સૌથી મોટું કારણ એ છે કે ઈરાન રશિયા વચ્ચે જે ડીલ થઈ હતી તેમાં મ્યુચ્યુઅલ ડિફેન્સ ક્લોઝ એટલે કે એકબીજા દેશની રક્ષા કરવાની કોઈ વાત જ નહોતી. આને એક ઉદાહરણથી સમજો. રશિયાએ જાન્યુઆરી 2024માં નોર્થ કોરિયા સાથે પણ એક સમજૂતી કરાર કર્યા હતા. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે જો નોર્થ કોરિયા પર હુમલો થશે તો તેના બચાવમાં રશિયા યુદ્ધના મેદાનમાં ઉતરશે. પણ ઈરાન સાથેની ડીલમાં લખ્યું છે કે જો કોઈ એક દેશમાં યુદ્ધ થશે તો બીજો દેશ તેના બચાવમાં ઉતરશે નહીં. એટલે રશિયા અત્યારે પ્રેક્ષક બનીને જોયા કરે છે. રશિયા અત્યારે સીધી રીતે યુદ્ધમાં ઉતરીને મોટું જોખમ લેવા માગતું નથી. રશિયાનું ધ્યાન અત્યારે યુક્રેન યુદ્ધ અને તેમાં અમેરિકાની મધ્યસ્થતા પર ટકેલું છે. ઈરાનને આશા હતી કે યુએનમાં ભાષણબાજીના બદલે રશિયા યુદ્ધ મેદાનમાં તેની મદદે આવશે. પણ એવું થયું નહીં. ફેબ્રુઆરી 2022માં યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયું ત્યારથી રશિયાએ બેલારુસ, ઈરાન, ચીન અને ઉત્તર કોરિયા સાથે ગાઢ સંબંધો વિકસાવ્યા છે. રશિયા હથિયારોના જથ્થા માટે ઈરાન પર નિર્ભર છે, જ્યારે ઈરાનને રશિયા પાસેથી ફંડ મળે છે. ઈરાને પાડોશી દેશો પર હુમલા રોક્યા, તેની પાછળ પુતિનનો હાથ 7 માર્ચના દિવસે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાંએ પાડોશી દેશોની માફી માગી. તેમણે કહ્યું કે જો પાડોશીઓની જમીન પરથી ઈરાન પર હુમલો નહીં થાય તો અમે તેમના પર હુમલો કરીશું નહીં. અત્યાર સુધી જે હુમલા કર્યા તેની પણ ઈરાની રાષ્ટ્રપતિએ માફી માગી હતી. કહેવાય છે કે ઈરાનની આ પહેલ પાછળ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન છે. 6 માર્ચની મોડી રાત્રે પુતિને પેજેશ્કિયાં સાથે ફોન પર વાત કરી હતી. આ પહેલા પુતિને UAE, બહેરીન અને કતારના નેતાઓ સાથે વાત કરીને આશ્વાસન આપ્યું હતું કે તેઓ ઈરાન સાથે વાત કરશે. રશિયાએ અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે મધ્યસ્થતા કરવાની ઓફર પણ કરી છે. પુતિન જાણે છે કે જો મિડલ-ઈસ્ટમાં કોઈની પણ સાથે તેમના સંબંધો બગડશે તો રશિયાની વેપાર અને જિયોપોલિટકલ સાથે જોડાયેલી લાંબાગાળાની નીતિ નબળી પડી જશે. પુતિન એ પણ જાણે છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવી સહેલી નથી. અમેરિકા અત્યારે યુક્રેનને હથિયાર આપી શકતું નથી, પુતિન રાજીના રેડ પુતિન માટે રાહત એ છે કે અમેરિકા ઈરાન યુદ્ધમાં પરોવાઈ ગયું છે એટલે રશિયા વિરૂદ્ધ યુક્રેનને હથિયાર આપી શકતું નથી. અમેરિકી ન્યૂઝપેપર ધ ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, અમેરિકા પાસે ઈરાની ડ્રોન્સને રોકવા માટે વપરાતા ઇન્ટરસેપ્ટર્સ ઓછા છે. અમેરિકા જે ઝડપે યુદ્ધના પહેલા દિવસે આધુનિક હથિયારો વાપરી રહ્યું હતું, હવે તેમ નથી કરતું. યુક્રેનને સતત હથિયારો સપ્લાય કરવાથી અને ગયા વર્ષે 7 દેશો પર હુમલો કરવાથી અમેરિકાના હથિયારો ખૂટી રહ્યા છે. જો યુક્રેનને સમયસર પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમની મિસાઈલો નહીં મળે તો રશિયાને તેના પર ભીષણ હુમલા કરવાની છૂટ મળી જશે. પુતિન ભલે એકબાજુ યુદ્ધ રોકવાની વાત કરતા હોય પણ તે મનમાં તો ઈચ્છે છે કે યુદ્ધ ચાલુ રહે. જો યુદ્ધ ચાલુ રહેશે તો પુતિનને બે ફાયદા થશે. એક, યુક્રેન પર હુમલા વધારશે. બીજું, ઈરાની ઓઈલ સપ્લાય ખોરવાશે તો રશિયાના ઓઈલની ડિમાન્ડ વધી જશે. છેલ્લે, એક નવી વાત સામે આવી છે. ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ આરોપ લગાવ્યો છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધના મૂડમાં નહોતા. પણ અમેરિકી સેનેટર લિંડસે ગ્રેહામ અને ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ સાથે મળીને ટ્રમ્પને યુદ્ધ કરવા માટે ઉશ્કેર્યા છે. અરાઘચીએ આરોપ તો લગાવ્યો પણ આખું જગત ટ્રમ્પને જાણે છે, એ કોઈના કહેવાથી ઉશ્કેરાય એવા છે નહીં. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચ- યશપાલ બક્ષી)

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 8:00 pm

ધ્રાંગધ્રામાં ફરાર બે આરોપી ઝડપાયા:આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલા હથિયાર અને કપડાં કબજે કરાયા

ધ્રાંગધ્રા સિટી પોલીસે ગુનામાં ફરાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલા હથિયાર અને કપડાં પણ કબજે કર્યા છે. આ કાર્યવાહી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના બાદ કરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. પુરોહિતના માર્ગદર્શન હેઠળ, ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.યુ. મસીની ટીમે આ કામગીરી કરી હતી. પોલીસ કોન્સ્ટેબલ સરફરાજને બાતમી મળી હતી કે, હાજી સલીમ અને સકલીનમુસ્તાક ઉર્ફે કાલી ધ્રાંગધ્રાની ફુલગલીમાં તેમના રહેણાંક મકાનમાં છે. આ બાતમીના આધારે, પોલીસે ટીમ બનાવી ફુલગલીમાં આવેલા આરોપીઓના રહેણાંક મકાનની છત પરથી બંનેને પકડી પાડ્યા હતા. પોલીસે ગુના સમયે ઉપયોગમાં લેવાયેલા હથિયાર અને પહેરેલા કપડાં પણ કબજે કર્યા છે. પકડાયેલા આરોપીઓમાં (1) હાજી સલીમ સંધી (રહે. ફુલગલી, ધ્રાંગધ્રા) અને (2) સકલીનમુસ્તાક ઉર્ફે કાલી ફિરોજ બેલીમ (રહે. કશ્બાશેરી, ધ્રાંગધ્રા) નો સમાવેશ થાય છે. ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. ઉપરાંત, આરોપી સકલીનમુસ્તાક ઉર્ફે કાલી મોરબી જિલ્લાના હળવદ પોલીસ સ્ટેશનના ગુનામાં પણ ફરાર હતો. આ કામગીરીમાં પો.ઈન્સ. એમ.યુ. મસી, પો.સબ.ઈન્સ. એ.એમ. યુડાસમા, પો.હેડ.કોન્સ. ધીરુભા નારસંગભા પરમાર, જગદીશ રમેશ, પો.કોન્સ. નરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ, સરફરાજ અનવર, પ્રતિપાલસિંહ ક્રિપાલસિંહ, રણજીતસિંહ ઘનશ્યામસિંહ, મૂળરાજસિંહ બાવલભા અને વુ.પો.કોન્સ. હીનાબેન દેવજી સહિતનો સ્ટાફ જોડાયો હતો.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 7:56 pm

નોટિસ-નમૂનાની કામગીરી કરી તંત્રએ સંતોષ માન્યો:રાજકોટમાં ખાણીપીણીની મુખ્ય બજારમાંથી પણ ફૂડ વિભાગને માત્ર 7 કિલો વાસી ખોરાક મળ્યો, શુદ્ધ ઘી, પંજાબી સબ્જીની ગ્રેવી અને સાંભારનાં નમુના લેવાયા

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના પ્રખ્યાત ડો.યાજ્ઞિક રોડ વિસ્તારમાં ખાણી-પીણીની પેઢીઓમાં વ્યાપક સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ફૂડ વિભાગની ટીમે કુલ 47 જેટલી પેઢીઓની તપાસ કરી હતી, જેમાંથી આશ્ચર્યજનક રીતે સમગ્ર વિસ્તારમાંથી માત્ર 7 કિ.ગ્રા. જેટલો વાસી અખાદ્ય ખોરાક મળી આવ્યો હતો. તંત્ર દ્વારા આ જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો છે. દરોડા દરમિયાન ખોરાકની ગુણવત્તા કરતા લાયસન્સ - સ્ટોરેજની અનિયમિતતાઓ વધુ જોવા મળી હતી, જેના પગલે 09 ધંધાર્થીને વહીવટી નોટિસ ફટકારવામાં આવી હતી. સાથે શુદ્ધ ઘી, પંજાબી સબ્જીની ગ્રેવી અને સાંભારનાં નમુના પણ લેવાયા હતા. આમ માત્ર નોટિસ-નમૂનાની કામગીરી કરી તંત્રએ સંતોષ માન્યો હતો. જેમાં સર્વેશ્વર ચોક સ્થિત 'ચારકોલ ફૂડ હોસ્પિટાલિટી' (બોલે તો મુંબઈ) માંથી સૌથી વધુ 05 કિ.ગ્રા. વાસી પ્રિપેડ ફૂડ મળી આવ્યું હતું. આ ઉપરાંત, 'મહાદેવ ઘૂઘરા' માંથી 01 કિ.ગ્રા. વાસી મીઠી ચટણી અને 'એવન ફૂડ ઝોન' માંથી 01 કિ.ગ્રા. ચટણીનો નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ વિભાગે લાયસન્સ અને યોગ્ય સ્ટોરેજ બાબતે ક્રિષ્ના મારવાડી પાણીપુરી, રાજલક્ષ્મી કોલ્ડ્રિંક્સ, કૈલાશ પાન, આર.કે. પાન, હરિપ્રેમ એન્ટરપ્રાઇઝ અને વ્હી નરશીભાઈ પાણીપુરી વાળાને નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. સાથે શહેરના અન્ય 37 એકમોમાં પણ ચકાસણી કરવામાં આવી હતી. ઉપરાંત લક્ષ્મીનગર મેઇન રોડ પર આવેલા 'કિસ્મત એગ્ઝ ઝોન' ને પેક્ડ ફૂડ પર લેબલિંગ ન હોવા બદલ અને હાઈજેનિક કન્ડિશન જાળવવા માટે નોટિસ આપવામાં આવી છે. માત્ર નોટિસ જ નહીં, ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ વિભાગે 03 નમૂનાઓ પણ એકત્ર કર્યા છે. જેમાં કેવડાવાડીના 'ક્રિષ્ના ઘી ભંડાર' માંથી શુદ્ધ ઘી (લૂઝ) અને કસ્તુરબા રોડ પર આવેલ 'જયહિંદ મદ્રાસ કાફે' માંથી પંજાબી સબ્જીની ગ્રેવી તથા સાંભારના નમૂના લઈ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. ડેઝીગ્નેટેડ ઓફિસર દ્વારા જનતાના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓ સામે કડક પગલાં લેવાની ખાતરી આપી છે. રાજકોટના ઉદ્યોગોને 50ને બદલે 75% ગેસ વપરાશની છૂટ આપો : MLA ટીલાળાની કેન્દ્ર સરકારને રજૂઆત રાજકોટ શહેર તથા આસપાસના ઉદ્યોગોને ગુજરાત ગેસ કંપની દ્વારા પૂરા પાડવામાં આવતા PNG ગેસના પુરવઠામાં હાલ થયેલા ફેરફારોને ધ્યાનમાં રાખીને ઉદ્યોગકારોને સરળતા રહે તે હેતુથી રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળાએ કેન્દ્ર સરકાર સમક્ષ વિગતવાર રજૂઆત કરી છે.હાલ ગુજરાત ગેસ કંપની દ્વારા ફેબ્રુઆરી મહિનામાં ઉદ્યોગોને એક્ચ્યુઅલ વપરાશના 50 ટકા જેટલો ગેસ વાપરવાની મર્યાદા રાખવામાં આવી છે. ફેબ્રુઆરી મહિનો 28 દિવસનો હોવાને કારણે ઉદ્યોગોના એક્ચ્યુઅલ વપરાશમાં સામાન્ય રીતે ઘટાડો રહે છે. આ બાબતને ધ્યાનમાં લઈ ઉદ્યોગોને એકચ્યુઅલ DCQના ઓછામાં ઓછા 75 ટકા સુધી ગેસ વાપરવાની છૂટ આપવામાં આવે તો ઉદ્યોગોની ઉત્પાદન પ્રક્રિયા સુગમ રીતે ચાલુ રહી શકે તેવી વિનંતી રજૂઆતમાં કરવામાં આવી છે.આ સાથે એક્સેસ ગેસની ગણતરી રોજિંદા આધારના બદલે આખા મહિનાની સરેરાશ મુજબ કરવામાં આવે તો ઉદ્યોગોને વધુ અનુકૂળતા મળી શકે તેવી પણ સૂચનાત્મક રજૂઆત કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે DCQ 1500 SCM ધરાવતા ઉદ્યોગ માટે 75 ટકા મુજબ 1125 SCM વપરાશના આધારે 30 દિવસ માટે અંદાજે 33,750 SCM સુધી ગેસ વાપરવાની છૂટ આપવામાં આવે તો ઉદ્યોગોને કાર્યરત રાખવામાં સહાયરૂપ બની શકે છે. રજુઆતમાં વધુમાં જણાવ્યું છે કે હાલ એક્સેસ ગેસના દરમાં વધારાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ઉદ્યોગોને વધારાનો આર્થિક બોજ ન પડે તે માટે હાલના અંદાજિત રૂ. 47 દરના આધારે મહત્તમ 20 ટકા જેટલો યોગ્ય વધારો રાખી દર નક્કી કરવામાં આવે તેવી પણ વિનંતી કરવામાં આવી છે. રાજકોટ RTO દ્વારા ટુ-વ્હીલરની નવી સીરિઝ માટે ઓનલાઇન હરાજીની જાહેરાત રાજકોટ RTO કચેરી દ્વારા મોટર સાયકલ વાહનો માટેની નવી સીરિઝ GJ-03-QBનું ઓકશન 13 માર્ચ, 2026થી શરૂ કરવામાં આવશે. ગોલ્ડન કે સિલ્વર પસંદગીના નંબર મેળવવા ઈચ્છતા વાહન માલિકો parivahan.gov.in/fancy પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવીને આ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. આ સીરિઝ અને અગાઉની સીરિઝના બાકી રહેતા પસંદગીના નંબરો માટે 13 માર્ચના રોજ સાંજે 4:00 કલાકથી 18 માર્ચના રોજ સાંજે 4:00 કલાક સુધી ઓનલાઇન એપ્લિકેશન કરી શકાશે. ત્યારબાદ 18 માર્ચના રોજ સાંજે 4:01 કલાકથી 20 માર્ચના રોજ સાંજે 4:00 કલાક સુધી ઓનલાઇન બિડિંગ પ્રક્રિયા ચાલશે અને 20 માર્ચના રોજ સાંજે 4:15 કલાકે હરાજીનું પરિણામ જાહેર કરવામાં આવશે. આ પ્રક્રિયા માટે અરજદારે પરિવહન વેબસાઇટ પર 'ફેન્સી નંબર બુકિંગ'માં જઈ પબ્લિક યુઝર આઈડી બનાવી CNA ફોર્મ ભરવાનું રહેશે. પસંદગીના નંબર માટે નિયત લઘુત્તમ ફી ભર્યા બાદ હરાજીમાં ભાગ લઈ શકાશે. સફળ અરજદારે નંબર ફાળવાયાના 5 દિવસમાં બાકીની રકમ ભરી RTO કચેરીએથી અપ્રુવલ મેળવવાનું રહેશે. મહત્વનું છે કે, વાહન ખરીદીના 7 દિવસની અંદર જ CNA ફોર્મ ઓનલાઇન ભરવું ફરજિયાત છે અને સમયમર્યાદા બાદની અરજીઓ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. રાજકોટમાં મહાદેવ સોશ્યલ ગ્રુપનું અનોખું આયોજન, સમસ્ત બ્રહ્મસમાજ માટે ભવ્ય અંતાક્ષરી સ્પર્ધા યોજાશે રાજકોટનાં મહાદેવ સોશ્યલ ગ્રુપ દ્વારા સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત સમસ્ત બ્રહ્મસમાજ માટે એક ભવ્ય અંતાક્ષરી સ્પર્ધાનું સંગીતમય આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા 5.4.2026 ના રવિવારે અરવિંદભાઈ મણીયાર એસી હોલ ખાતે બપોરે 2 થી સાંજે 7 વાગ્યા દરમિયાન યોજાશે. સ્પર્ધામાં કોઈપણ ઉંમરના ભૂદેવ ભગિનીઓ ભાગ લઈ શકશે. સંગીત ક્ષેત્રે કાર્યરત આ ગ્રુપ દ્વારા આયોજિત સ્પર્ધામાં 'વહેલા તે પહેલા' ના ધોરણે વ્યક્તિદીઠ રૂ. 300 ફી ભરીને પ્રવેશ મેળવી શકાશે. ભાગ લેનાર તમામ સ્પર્ધકોને આકર્ષક શ્યોર ગિફ્ટ આપવામાં આવશે, તેમજ વિજેતા ટીમોને વિશિષ્ટ ઈનામો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે. આ આયોજનને સફળ બનાવવા માટે પ્રમુખ બીપીનભાઈ ઠાકરના માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ હિરેનભાઈ રાવલ (9909202904), મંત્રી દીપકભાઈ રાવલ (7575023780) અને ખજાનચી જીતુભાઈ શુક્લ (9825782714) જહેમત ઉઠાવી રહ્યા છે. આ ઉપરાંત કમિટી મેમ્બર્સ જીતેન્દ્રભાઈ ભટ્ટ, જયેશભાઈ ભટ્ટ, જયેશભાઈ દવે, કલ્પેશભાઈ ઉપાધ્યાય, કિરીટભાઈ વ્યાસ, ભરતભાઈ શુક્લ, કલાબેન રાવલ, જયશ્રીબેન શુક્લ, ગીતાબેન ભટ્ટ, અંજુબેન ભટ્ટ અને હેમાંગીબેન રાવલ પણ સહયોગ આપી રહ્યા છે. સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુકોએ ઉપર મુજબના મોબાઈલ નંબર પર સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ કાર્યક્રમમાં સંગીતપ્રેમી જનતા માટે પ્રવેશ નિ:શુલ્ક રાખવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 7:47 pm

જૂનાગઢ રેંજના નવા DIG રાજેન્દ્રસિંહ ચુડાસમાનો પદભાર:​જૂનાગઢ રેંજના નવા DIG તરીકે રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ચાર્જ સંભાળ્યો: પ્રજાની સુરક્ષા સર્વોપરી અને ગુંડાગીરી ડામવા પોલીસનું આકરું વલણ

​જૂનાગઢ રેંજના નવા પોલીસ મહાનિરીક્ષક તરીકે આઈપીએસ અધિકારી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ આજે વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. પદભાર ગ્રહણ કર્યા બાદ તેમણે મીડિયા સાથેની ખાસ વાતચીતમાં પોતાની પ્રાથમિકતાઓ અને સુરક્ષા વ્યવસ્થાને લઈને મહત્વના નિવેદનો આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ અને જૂનાગઢ રેન્જ પ્રજાની સેવા, સુરક્ષા અને શાંતિ જાળવી રાખવા માટે હરહંમેશ કટિબદ્ધ છે. પ્રજામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બને તે દિશામાં આગામી સમયમાં સઘન કામગીરી કરવામાં આવશે. ​રાજેન્દ્રસિંહ ચુડાસમા આ વિસ્તાર માટે નવા નથી, કારણ કે તેમણે ભૂતકાળમાં વેરાવળમાં ડીવાયએસપી અને ગીર સોમનાથ જિલ્લામાં એસપી તરીકે લાંબો સમય ફરજ બજાવી છે. આ અનુભવને કારણે તેઓ આ પંથકની ભૌગોલિક પરિસ્થિતિ, સામાજિક માળખું અને આર્થિક ગતિવિધિઓથી ખૂબ જ સારી રીતે માહિતગાર છે. આ ભૌગોલિક જ્ઞાનનો ઉપયોગ કરીને તેઓ રેન્જમાં ગુનાખોરીને કાબૂમાં લેવા માટે ખાસ આયોજન કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સ્થાનિક પ્રશ્નો અને ગુનાહિત માનસ ધરાવતા તત્વો સામે પોલીસનું વલણ હવે વધુ કડક બનશે. ​સૌથી મહત્વની વાત કરતા તેમણે ગુનેગારોને એક ખુલ્લી અને કડક ચેતવણી આપી છે. તેમણે રોકડું પરખાવતા કહ્યું હતું કે, જે લોકો અસામાજિક કે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે તેઓ કાં તો ગુનાખોરી છોડી દે અથવા તો જૂનાગઢ રેન્જની હદ છોડીને ચાલ્યા જાય. પોલીસ કોઈપણ પ્રકારની ગુંડાગીરી કે દાદાગીરીને સહન કરશે નહીં. ગુનેગારોમાં પોલીસનો ફફડાટ હોય અને સામાન્ય પ્રજામાં પોલીસ મિત્ર હોવાનો અહેસાસ થાય તેવું વાતાવરણ ઉભું કરવામાં આવશે. આ કામગીરીમાં તેમણે નાગરિકોના સહયોગની પણ અપીલ કરી છે. ​પ્રજાલક્ષી પોલીસિંગ પર ભાર મૂકતા ડીઆઈજીએ જણાવ્યું હતું કે પોલીસ સુધી પહોંચવું હવે નાગરિકો માટે વધુ સરળ બનશે. તમામ પોલીસ અધિકારીઓના સંપર્ક નંબર સોશિયલ મીડિયા અને અન્ય જાહેર માધ્યમો પર ઉપલબ્ધ કરાવાયા છે. કોઈ પણ નાગરિક નિર્ભય થઈને ગુનાહિત પ્રવૃત્તિઓની માહિતી પોલીસને આપી શકે છે અથવા મુશ્કેલીના સમયે સીધો સંપર્ક કરી શકે છે. પોલીસ અને પ્રજા વચ્ચેનો સેતુ મજબૂત કરવા માટે ટેકનોલોજી અને પર્સનલ કોમ્યુનિકેશનનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે. ​સોમનાથ મંદિરની સુરક્ષાને લઈને પણ તેમણે ગંભીરતા દર્શાવી હતી. વિશ્વપ્રસિદ્ધ સોમનાથ જ્યોતિર્લિંગની સુરક્ષા માટે એસઆરપી, હોમગાર્ડ્સ અને સ્થાનિક પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પહેલેથી જ ગોઠવાયેલો છે. આ સુરક્ષા વ્યવસ્થાનું આધુનિક સીસીટીવી કેમેરા નેટવર્ક દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. શ્રદ્ધાળુઓની આસ્થા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ સતર્ક છે અને જરૂર જણાયે સુરક્ષા વ્યવસ્થામાં વધુ સુધારા-વધારા પણ કરવામાં આવશે. ​આ ઉપરાંત રાજેન્દ્રસિંહ ચુડાસમા અશ્વપાલન અને પોલીસ માઉન્ટેડ યુનિટમાં પણ ખાસ રુચિ ધરાવે છે. તેઓ અશ્વ ખરીદી સમિતિના સભ્ય તરીકે કાર્યરત હોવાથી, રાજ્ય સરકારના અભિગમ મુજબ સીધા અશ્વપાલકો પાસેથી જ ઘોડાઓની ખરીદી કરવાની પ્રક્રિયા પર ભાર મૂકી રહ્યા છે. આ પદ્ધતિથી ખાસ કરીને કાઠિયાવાડી અને મારવાડી જાતિના અશ્વોના સંવર્ધનને મોટું પ્રોત્સાહન મળી રહ્યું છે. પોલીસ બેડામાં ઉત્તમ ઓલાદના અશ્વોનો સમાવેશ થવાથી પેટ્રોલિંગ અને કાયદો-વ્યવસ્થાની કામગીરીમાં પણ મદદ મળશે. એકંદર રીતે, નવા ડીઆઈજીનો ઉદ્દેશ્ય જૂનાગઢ રેન્જને સુરક્ષિત અને શાંત બનાવવાનો છે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 7:39 pm

એક જ દિવસમાં આગની 3 ઘટનાં:રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચે જપ્ત કરેલા 9 બાઈક અને સર્વિસ સ્ટેશનમાં અર્ટિગા કાર બળીને ખાખ, સદનસીબે જાનહાનિ ટળી

રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી આગની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે, જેમાં ગઈકાલે એક જ દિવસમાં અલગ-અલગ 3 સ્થળોએ આગ લાગવાના બનાવો બનતા ફાયર બ્રિગેડની ટીમ દોડતી થઈ હતી. આ દુર્ઘટનાઓમાં વાહનો સહિત લાખોની મિલકત બળીને ખાખ થઈ ગઈ છે, જોકે સદનસીબે તમામ સ્થળોએ કોઈ જાનહાનિ થઈ નથી. પ્રથમ બનાવમાં શહેરના શીતલ પાર્ક નજીક એરપોર્ટની દીવાલ પાસે આવેલા એક ડેલામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ડેલામાં ક્રાઈમ બ્રાંચ દ્વારા જપ્ત કરવામાં આવેલા વાહનો રાખવામાં આવ્યા હતા. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે ત્યાં પાર્ક કરેલા 9 બાઈકો જોતજોતામાં બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો સ્ટાફ ફાયર ફાઈટરો સાથે સ્થળ પર પહોંચી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગની સતર્કતાને કારણે ત્યાં પડેલા અન્ય 100 જેટલા વાહનોને બચાવી લેવામાં સફળતા મળી હતી. સમગ્ર મામલે જમાદાર જેન્તીભાઈએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે એફએસએલની મદદ લઈને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બીજા બનાવમાં માધાપર ચોકડી નજીક આવેલા મારુતિ કારના સર્વિસ સ્ટેશનના વર્કશોપમાં ગઈકાલે સાંજે અચાનક આગ ફાટી નીકળી હતી. આગની તીવ્રતા જોતા તાત્કાલિક રેલનગર ફાયર સ્ટેશન અને રામાપીર ફાયર સ્ટેશનનો સ્ટાફ ટેન્કરો સાથે ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ આગ સર્વિસ વિભાગમાં રિપેરિંગ માટે આવેલી એક ફોર વ્હીલરમાં લાગી હતી. ફાયર ફાઈટરોએ 15 થી 20 મિનિટ સુધી સતત પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી હતી. આ ઘટનામાં અર્ટિગા ગાડી નંબર GJ 03 PJ 4891 સંપૂર્ણપણે સળગી ગઈ હતી. આ ઉપરાંત વર્કશોપમાં રહેલા વેલ્ડિંગ મશીન, ઇલેક્ટ્રિક બોર્ડ તેમજ નવા પાર્ટ્સ જેવા કે બમ્પર અને હેડલાઇટ પણ આગની ઝપેટમાં આવતા મોટું નુકસાન થયું છે. ત્રીજો બનાવ ગઈરાત્રે નવાગામ બસ સ્ટેન્ડ મેઈન રોડ પર ન્યારા પેટ્રોલ પંપ સામે આવેલ ત્રિલોક કાર્ગો સર્વિસના પાર્સલ ગોડાઉનમાં બન્યો હતો. ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા બેડીપરા ફાયર સ્ટેશનનો સ્ટાફ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક રવાના કરવામાં આવ્યા હતા. ફાયર સ્ટાફે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગને શાંત પાડી હતી. આ આગમાં ગોડાઉનમાં રહેલા ટેબલ, કોમ્પ્યુટર અને પ્રિન્ટર જેવા સાધનો બળીને ખાખ થઈ ગયા હતા. જોકે, ફાયર વિભાગે સમયસર કામગીરી કરીને બાજુમાં પડેલા આશરે 50 ઓઈલના કેરબા, 3-4 પાર્સલ બોક્સ અને વાસણોના જથ્થાને સુરક્ષિત બચાવી લીધો હતો. આ ગોડાઉનમાં આગ લાગવાનું કારણ અને કુલ નુકસાનીનો આંક હજુ સુધી જાણી શકાયો નથી. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં એક જ દિવસમાં બનેલી આ ત્રણ ઘટનાઓએ સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નો ઊભા કર્યા છે. ઉનાળાની શરૂઆત પહેલા જ આ પ્રકારે શોર્ટ સર્કિટ કે અન્ય કારણોસર આગના બનાવો વધતા તંત્ર દ્વારા પણ લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. પોલીસ અને ફાયર વિભાગ હાલ આ તમામ કેસોમાં આગ લાગવાના કારણોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 7:32 pm

ઈસનપુરમાં જેઠે નાના ભાઈની પત્ની પર નજર બગાડી:શરીર સંબંધ બાંધવા માટે દબાણ કર્યું, ના પાડતા મહિલા દિવસે જ રાત્રે લાજ લેવાનો પ્રયાસ કર્યો

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં 24 વર્ષીય પરિણીતાને શરીર સંબંધ માટે જેઠ દ્વારા દબાણ કરાતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. રાત્રિના સમયે પરણીતા એકલી હતી ત્યારે જેઠ દ્વારા તેને પકડીને જબરજસ્તી કરવામાં આવી હતી જેથી તેણે બૂમાબૂમ કરી મૂકી હતી આસપાસના લોકો અને પરિણીતાના પતિ આવી ગયા હતા. આ મામલે પરણીતાએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં જેટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે એક વાર પરિણીતાએ જતું કર્યું તો બીજીવાર માગણી કરીમળતી માહિતી મુજબ શહેરના ઇસનપુર વિસ્તારમાં 24 વર્ષે પરિણીતા તેના પરિવાર સાથે રહે છે. પરિવારમાં સાસુ સસરા અને તેના જેઠ પણ રહે છે. 15 દિવસ પહેલા પરણીતા પોતાના ઘરે હાજર હતી ત્યારે રાત્રિના સમયે તેમના જેઠ તેની પાસે આવ્યા હતા અને શરીર સંબંધ બાંધવા માટે કહ્યું હતું પરંતુ પરિણીતાએ ચોખ્ખી ના પાડી દીધી હતી. જેના કારણે તેઓ ત્યાંથી જતા રહ્યા હતા ત્યારબાદ પરિણીતા ખૂબ જ ડરી ગઈ હતી અને આ બાબતે ઘરમાં કોઈને વાતચીત કરી નહોતી. પરણીતાના જેઠ ઘરમાં જ રહેતા હતા અને કોઈ વાતચીત કરતા નહોતા જેથી મોટું મન રાખીને પરણીતાએ તેને માફ કરી દીધા હતા. મહિલા દિવસે જ લાજ લેવાનો પ્રયાસ કર્યો8 માર્ચના રોજ રાત્રે 10:30 થી 11 ની વચ્ચે પરણીતા પોતાના ઘરે હાજર હતી ત્યારે ફરીથી તેના જેઠ તેની નજીક આવ્યા હતા અને શરીર સંબંધ બાંધવા માટે કહ્યું હતું પરંતુ પરિણીતાએ ના પાડી દીધી હતી જેથી જેઠ ગુસ્સે થઈ ગયા હતા અને તેને જબરજસ્તી પકડી લીધી હતી જેથી તેના બ્લાઉઝ પણ ફાટી ગયું હતું. પરણીતા ડરી ગઈ હતી જેથી તેણે બૂમાબૂમ કરી મૂકી હતી તે દરમિયાનમાં લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી અને મહિલાના પતિ પણ ઘરે આવી ગયા હતા જેથી આ મામલે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં પરણીતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 7:31 pm

સુરેન્દ્રનગરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ભાગરુપે ઉજવણી:આજે મંગલ ભવન ખાતે મહિલા સંમેલન યોજાયું, વિશિષ્ટ યોગદાન આપનાર મહિલાઓનું સન્માન

સુરેન્દ્રનગરના વઢવાણ સ્થિત મંગલ ભવન ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાના 'મહિલા સંમેલન'નું આયોજન કરાયું હતું. રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને માતાઓ ઉત્સાહભેર જોડાયા હતા. આ સંમેલન જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. કાર્યક્રમમાં પૂર્વ નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે સમાજમાં વિશિષ્ટ યોગદાન આપનાર અને સરકારી યોજનાઓનો લાભ લઈ સ્વાવલંબી બનેલી મહિલાઓનું સન્માન કરાયું હતું, જે અન્યો માટે પ્રેરણાદાયક બનશે. જીજ્ઞાબેન પંડ્યાએ વધુમાં જણાવ્યું કે, મહિલાઓ આત્મનિર્ભર બને અને પોતાના કાયદાકીય અધિકારો પ્રત્યે જાગૃત થાય તે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. ઉપસ્થિત મહિલાઓને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનું વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું, જેથી ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ પણ યોજનાઓનો લાભ લઈ આર્થિક અને સામાજિક રીતે સશક્ત બની શકે. આ સંમેલનમાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરનાર પ્રતિભાશાળી મહિલાઓનું મહાનુભાવોના હસ્તે બહુમાન કરાયું હતું. આ ઉપરાંત, સરકારી યોજનાઓના લાભાર્થીઓને વિવિધ મંજૂરી હુકમો અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં 'વ્હાલી દીકરી યોજના'ના મંજૂરી હુકમ અને 'દીકરી વધામણા કીટ'નો સમાવેશ થાય છે. મહિલાઓને શિક્ષણ, સુરક્ષા અને આર્થિક સહાય અંગેની માહિતી સ્થળ પર જ મળી રહે તે માટે વિવિધ માહિતીલક્ષી સ્ટોલ્સ પણ ઊભા કરાયા હતા. કાર્યક્રમની શરૂઆતમાં મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી વી.એસ. શાહ દ્વારા શાબ્દિક સ્વાગત કરાયું હતું અને વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની મહિલા અને બાળ સમિતિના ચેરમેન નંદુબેન વાઘેલા, જિલ્લા શિક્ષણાધિકારી અરવિંદ ઓઝા, સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી ભાવનાબેન જીડીયા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને જિલ્લાની મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 7:26 pm

ડાંગ જંગલમાંથી ગુમ યુવકનો સડેલો મૃતદેહ મળ્યો:બાર દિવસથી ગુમ અજય પવારની ઓળખ, પોલીસે તપાસ શરૂ કરી

ડાંગ જિલ્લાના આહવા નજીકના જંગલ વિસ્તારમાંથી એક યુવકનો સડેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ આહવા નજીકના બંધારપાડા ગામના અજયભાઈ (ડેબે) રાજુભાઈ પવાર તરીકે થઈ છે. આહવા તાલુકાના કાસવદહાડ નજીકના જંગલ વિસ્તારમાં સ્થાનિક લોકોને દુર્ગંધ આવતા તેમણે તપાસ કરી હતી. તપાસ દરમિયાન એક અજાણ્યા વ્યક્તિનો સડેલી હાલતમાં મૃતદેહ જોવા મળ્યો હતો. આ અંગે તાત્કાલિક આહવા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ પંચનામાની કાર્યવાહી કરી હતી. ત્યારબાદ ઓળખ માટે તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં મૃતદેહ અજયભાઈ પવારનો હોવાનું સામે આવ્યું હતું. મળતી માહિતી મુજબ, અજયભાઈ છેલ્લા આશરે બાર દિવસથી ગુમ હતા. તેમના પરિવારજનો દ્વારા તેમની ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. જંગલ વિસ્તારમાંથી તેમનો મૃતદેહ મળી આવતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. આહવા પોલીસે હાલ આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. યુવકના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આહવા પોલીસ હાલ સમગ્ર મામલે વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 7:24 pm

સેવાસેતુ કાર્યક્રમમાં વઢવાણ મામલતદારની સરાહનીય કામગીરી:વૃદ્ધ પેન્શન અને વિધવા સહાય માટે તાત્કાલિક કાર્યવાહી

સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના નગરા ગામે રાજ્ય સરકારના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વઢવાણ મામલતદાર આર.કે. પંચાલની સરાહનીય કામગીરી જોવા મળી હતી, જ્યાં તેમણે વૃદ્ધ મહિલાઓને સરકારી યોજનાઓનો લાભ અપાવવામાં મદદ કરી. પ્રાપ્ત માહિતી અનુસાર, નગરા ગામના 70 વર્ષીય કનુભેન ભગવાનભાઈને ઘણા વર્ષોથી વૃદ્ધ પેન્શન મળતું ન હતું. તેમના પતિથી અલગ રહી તેઓ છેલ્લા 35 વર્ષથી પિયરમાં માતા-પિતા સાથે રહે છે. કનુભેન વિધવા ન હોવાથી અને પુત્રો હયાત હોવાથી તેમને સરકારી સહાય મળતી ન હતી, જેના કારણે વૃદ્ધ પેન્શન મેળવવામાં મુશ્કેલી પડતી હતી. આ બાબતે નગરા ગામના સરપંચ રમાબા પ્રવીણદાન ગઢવીએ સેવાસેતુ કાર્યક્રમમાં મામલતદાર આર.કે. પંચાલનું ધ્યાન દોર્યું હતું. મામલતદારે તાત્કાલિક તપાસ હાથ ધરી અને કનુભેનને વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ મળે તે માટે જરૂરી પ્રક્રિયા શરૂ કરી, જેનાથી તેમને સહાય મળી શકી. આ ઉપરાંત, નગરા ગામના પ્રેમબેન નરસિંહભાઈના પતિનું 30 વર્ષ પહેલા અવસાન થયું હતું, પરંતુ તેમના મરણની નોંધણી ક્યાંય કરાવવામાં આવી ન હતી. મરણનો દાખલો ન હોવાને કારણે પ્રેમબેનને છેલ્લા 30 વર્ષથી વિધવા સહાય મળી રહી ન હતી. સરપંચ રમાબાએ આ મુદ્દો પણ અધિકારીઓના ધ્યાને લાવતા, સ્થળ પર જ મરણનો દાખલો મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા. આ કાર્યવાહી દ્વારા પ્રેમબેનને વિધવા સહાય મળી રહે તે માટેની કામગીરી પણ શરૂ કરવામાં આવી. આ સરાહનીય કામગીરી બદલ વૃદ્ધ મહિલા કનુભેન અને પ્રેમબેન તેમજ સરપંચ રમાબાએ સરકાર અને મામલતદાર આર.કે. પંચાલનો આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં 2016થી શરૂ થયેલા 'સેવા સેતુ કાર્યક્રમ' અંતર્ગત હાલ નાગરિકોને 55 સરકારી સેવાઓનો લાભ ઘરઆંગણે મળી રહ્યો છે, જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સફળતાપૂર્વક આગળ ધપાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 7:24 pm

‘નેશનલ સેફ્ટી વીક’ અંતર્ગત મોકડ્રિલ:અલંગમાં ગેસ કટિંગ વિસ્ફોટ અને કોન્ફાઇન્ડ સ્પેસ રેસ્ક્યૂની મોકડ્રિલ યોજાઈ

અલંગ શિપ રિસાયક્લિંગ યાર્ડ ખાતે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા નેશનલ સેફ્ટી વીક 2026 નિમિત્તે ઓફ-સાઇટ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું, નેશનલ સેફ્ટી વીક 2026 ના અવસર પર અલંગ શિપ રિસાયક્લિંગ યાર્ડના પ્લોટ નં. 25 ખાતે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા આકસ્મિક પરિસ્થિતિઓમાં પ્રતિસાદ ક્ષમતા વધારવા માટે વિશેષ ઓફ-સાઇટ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રિલમાં જહાજના ડબલ બોટમ વિસ્તારમાં ગેસ કટિંગ દરમિયાન વિસ્ફોટ અને આગ લાગવાની કલ્પિત પરિસ્થિતિ ઉભી કરીને રેસ્ક્યૂ, ફાયર ફાઈટિંગ અને ઇમરજન્સી મેનેજમેન્ટ સંબંધિત કામગીરીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ડ્રિલ દરમિયાન ઇજાગ્રસ્તોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની પ્રક્રિયા, કોન્ફાઇન્ડ સ્પેસ રેસ્ક્યૂ, આગ બુઝાવવાની કામગીરી તેમજ તાત્કાલિક તબીબી સારવાર જેવી મહત્વપૂર્ણ કામગીરીઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કર્મચારીઓમાં સલામતી પ્રત્યે જાગૃતિ વધારવી તથા આકસ્મિક પરિસ્થિતિમાં ઝડપી અને અસરકારક પ્રતિસાદ આપવા માટેની તૈયારી મજબૂત બનાવવી હતો, આ મોકડ્રિલ દરમિયાન પોર્ટ ઓફિસર, અલંગની હાજરીમાં તળાજા પ્રાંત અધિકારી તથા ડિસ્ટ્રીક પ્રોજેક્ટ ઓફિસર સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 7:23 pm

છાશવારે અકસ્માતોની હારમાળાથી ઇન્દ્રોડા ગ્રામજનો ત્રસ્ત:ગાંધીનગરના જ રોડ પર વિદેશી યુવાનના કરુણ મોત બાદ ચક્કાજામના પ્રયાસથી પોલીસ દોડતી થઈ, બંદોબસ્ત ગોઠવાયો

ગાંધીનગરનો VIP રોડ અકસ્માતોનો ડેથ ઝોન બની રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી આ માર્ગ પર નાના મોટા અકસ્માતની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થતાં આજે ઈન્દ્રોડા ગામના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આજે સવારે બનેલી એક ગમખ્વાર અકસ્માતની ઘટનામાં વિદેશી યુવાનનું કરુણ મોત નીપજતા ગ્રામજનો મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવી ચક્કાજામનો પ્રયાસ કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ગ્રામજનોએ ચક્કાજામની તૈયારી કરતા પોલીસ દોડતી થઈઆજે સવારે VIP ગણાતા જ - રોડ પરથી પસાર થઈ રહેલા સુદાનના આશાસ્પદ યુવાનને અકસ્માત નડ્યો હતો.જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાના સમાચાર વાયુવેગે ફેલાતા ઈન્દ્રોડા ગામના રહીશો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. ગ્રામજનોનો આક્ષેપ છે કે આ રોડ પર વાહનોની અનિયંત્રિત ગતિ અને ટ્રાફિક નિયમોના અભાવે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. આ રોડ પર વધતા જતા અકસ્માતોના વિરોધમાં રોષે ભરાયેલા ગ્રામજનોએ પર ચક્કાજામ કરવાની તૈયારી કરી હતી. જોકે પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગ્રામજનોની માંગ છે કે આ માર્ગ પર સ્પીડ બ્રેકર મૂકવામાં આવે અથવા સતત પોલીસ પેટ્રોલિંગ દ્વારા વાહનોની ગતિ મર્યાદા પર અંકુશ લાવવામાં આવે. સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માગઆ વીઆઇપી રોડ હોવા છતાં સુરક્ષા અને ગતિ મર્યાદાના કડક અમલીકરણના અભાવે સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. હાલમાં પોલીસે ગ્રામજનોને સમજાવી શાંત પાડવાના પ્રયાસો હાથ ધર્યા છે, પરંતુ અકસ્માતની આ હારમાળાને રોકવા માટે કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 7:20 pm

ગઢડા પંથકમાં સગીરા પર દુષ્કર્મ કરી ગર્ભ રાખનાર આરોપી ઝડપાયો:40 વર્ષીય શખ્સે ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું

ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવનાર આરોપી બેચર ધનજીભાઈ જાડા (ઉંમર 40)ની ગઢડા પોલીસે ધરપકડ કરી છે. આ ઘટના ત્રણ મહિના પહેલા બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સગીરાને પેટમાં દુખાવો ઉપડતાં મેડિકલ તપાસ કરાવવામાં આવી હતી, જેમાં તે ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. આ પછી ૪ માર્ચે સગીરાના વાલીએ ગઢડા પોલીસ સ્ટેશનમાં બેચર ધનજીભાઈ જાડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે, ગઢડા પોલીસે પોક્સો એક્ટ અને દુષ્કર્મ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. લાંબી તપાસ બાદ પોલીસે આરોપી બેચર ધનજીભાઈ જાડાને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સગીરાના માતા-પિતા અવસાન પામ્યા છે અને તે તેના ભાઈ સાથે રહે છે. આરોપી બેચર ધનજીભાઈ જાડા અને સગીરાનો ભાઈ મિત્રો હોવાથી તેમની એકબીજાના ઘરે અવરજવર રહેતી હતી. આરોપીએ આ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપી બેચર ધનજીભાઈ જાડા 40 વર્ષનો પરણિત પુરુષ છે અને તેને એક દીકરો અને એક દીકરી પણ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. મેડિકલ રિપોર્ટ બાદ સગીરાના ગર્ભના સમયગાળા અંગે વધુ સ્પષ્ટતા થશે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 7:08 pm

બે ટ્રકો વચ્ચે થઈ જોરદાર ટક્કર:સુરતના ગોથાણ બ્રિજ પર ગમખ્વાર અકસ્માત, ટ્રક ચાલક કેબિનમાં ફસાયો; ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો

સુરત શહેરના કોસાડ ફાયર સ્ટેશન હેઠળ આવતા ગોથાણ બ્રિજ પર આજે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બે ટ્રકો વચ્ચે થયેલી આ ટક્કરમાં એક ટ્રકનો ચાલક કેબિનમાં ખરાબ રીતે ફસાઈ ગયો હતો, જેને ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ સલામત રીતે બહાર કાઢ્યો હતો. ડ્રાઈવર કેબિનમાં જ ફસાઈ ગયો પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત આજ રોજ સર્જાયો હતો. અમરોલીથી રંગોલી ચોકડી તરફ જતા ગોથાણ બ્રિજ પર એક ટ્રકની પાછળ બીજી ટ્રક (નંબર: GJ 05 GV 1777) ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે પાછળની ટ્રકનો આગળનો ભાગ કચડાઈ ગયો હતો અને ડ્રાઈવર કેબિનમાં જ ફસાઈ ગયો હતો. કેબિન કાપીને ડ્રાઈવરને સહી-સલામત બહાર કાઢ્યો ઘટનાની જાણ થતા જ કોસાડ ફાયર સ્ટેશનના અધિકારી મારુતિ સોનવણે અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરના જવાનોએ આશરે એક કલાકની જહેમત બાદ કેબિન કાપીને ડ્રાઈવરને સહી-સલામત બહાર કાઢ્યો હતો. ડ્રાઈવરને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અક્સ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અકસ્માતને પગલે ઉત્રાણ પોલીસના જવાનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા ટ્રકનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 7:04 pm

હીટવેવને લઈ ગાંધીનગર મ્યુ.નો એક્શન પ્લાન:શહેરના 12 સ્થળે છાંયડા-પાણીની વ્યવસ્થા, સિવિલ-અર્બન હેલ્થ સેન્ટરોમાં હીટ સ્ટ્રોકનો સ્પેશિયલ વોર્ડ તૈયાર કરાશે

ગાંધીનગર શહેરમાં ઉનાળાના પ્રારંભે જ ગરમીનો પારો આસમાને પહોંચતા મહાનગરપાલિકા હરકતમાં આવી છે. આગામી દિવસોમાં સંભવિત આકરી લૂ અને હીટવેવની સ્થિતિને પહોંચી વળવા માટે મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં શહેરના નાગરિકોને ગરમીથી સુરક્ષિત રાખવા માટે સર્વગ્રાહી એક્શન પ્લાન અમલી બનાવવાનો નિર્ણય લેવાયો છે. આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ ગુજરાતમાં ઉનાળાની શરૂઆતે જ કાળઝાળ ગરમી પડવાની શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ ભાગોમાં હીટવેવની આગાહી પણ જાહેર કરવામાં આવી છે. ગાંધીનગરમાં આજે ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા આગામી ઉનાળાની આકરી ગરમી અને હીટવેવના સંભવિત પ્રકોપને પહોંચી વળવા માટે 'એક્શન પ્લાન' તૈયાર કરી દેવામાં આવ્યો છે. ગરમી વધતા પાણીની તંગી ન પડે તે માટે ચર્ચાઆજના તાપમાનની વિગતો પર નજર કરીએ તો, ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી નોંધાયું છે, જ્યારે લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે આગામી 48 કલાકમાં ગરમીનું જોર હજુ વધી શકે છે. હવામાં ભેજનું પ્રમાણ 17 ટકા જેટલું નીચું રહેતા સૂકી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. 12 સ્થળે મંડપ બાંધી પાણીની સુવિધા ઉભી કરવા આદેશઆજે મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં નાગરિકોના સ્વાસ્થ્ય અને સુવિધા માટે મહત્વના નિર્ણયો લેવાયા છે. આ બેઠક દરમિયાન મ્યુનિસિપલ કમિશનરે પીવાના પાણીના પુરવઠાને પ્રાથમિકતા આપી હતી અને શહેરમાં પાણીની તંગી ન સર્જાય તે માટે વોટર વર્ક્સ વિભાગને સતર્ક રહેવા સૂચના આપી છે. ખાસ કરીને રાહદારીઓ અને મુસાફરો માટે શહેરના સેક્ટર 6, પેથાપુર ચોકડી, રાંધેજા ચોકડી, ક 7 ચોકડી, વૈષણદેવી સર્કલ, ઝુંડાલ સર્કલ, રિલાયન્સ ચોકડી, ભાઈજીપુરા ચોકડી, અક્ષરધામ સરગાસણ ચોકડી સહિત 12 જેટલા મુખ્ય ટ્રાફિક જંક્શનો અને જાહેર સ્થળો પર મોટા મંડપ બાંધવામાં આવશે. અહીં પીવાના શુદ્ધ પાણીની સુવિધા સાથે લોકો વિરામ કરી શકશે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા એકમો સામે કાર્યવાહી કરવા સૂચનાઆ ઉપરાંત આરોગ્ય વિભાગને તમામ સિવિલ અને અર્બન હેલ્થ સેન્ટરો પર ORS પેકેટનો જથ્થો ઉપલબ્ધ કરાવવા અને હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે સ્પેશિયલ વોર્ડ તૈયાર રાખવા આદેશ અપાયા છે. ઉપરાંત ખાદ્ય સુરક્ષાના મુદ્દે કમિશનરે કડક વલણ અપનાવતા જણાવ્યું હતું કે, ઉનાળામાં શેરડીના રસ, ઠંડા પીણાં અને બરફના ગોળા જેવી ચીજોમાં વપરાતા પાણી અને બરફની ગુણવત્તા બાબતે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ સતત ચેકિંગ કરશે. જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા એકમો સામે સ્થળ પર જ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. તદુપરાંત, વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે સંકલન સાધીને જાહેર માર્ગો પર છાસ વિતરણના કેન્દ્રો પણ શરૂ કરવામાં આવશે. બપોરના સમયે બહાર ન નીકળવા તંત્રની અપીલઆ સિવાય સરકારના તાપમાનના સત્તાવાર આંકડાઓ અને હીટવેવની ચેતવણી સોશિયલ મીડિયા તેમજ જાહેર ડિસ્પ્લે બોર્ડ દ્વારા લોકો સુધી ત્વરિત પહોંચાડવામાં આવશે. તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, બપોરના 12થી 4 દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવું અને સુતરાઉ કપડાં પહેરવા તેમજ પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવું.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 6:46 pm

મહેસાણા સેશન્સ કોર્ટે સગીર આરોપીના જામીન ફગાવ્યા:ઇન્દિરાનગરમાં લગ્નના વરઘોડામાં નાચવા બાબતે આરોપીએ યુવકની હત્યા કરી હતી

મહેસાણા શહેરના ઇન્દિરાનગર વિસ્તારમાં ગત જાન્યુઆરી મહિનામાં લગ્નના વરઘોડામાં નાચવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારમાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી. આ ચકચારી કેસમાં કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર આરોપીની નિયમિત જામીન અરજી મહેસાણા સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. વરઘોડામાં નાચવા બાબતે બોલાચાલી બાદ ઉગ્ર ઝઘડોઘટનાની વિગતો મુજબ ગત 26 જાન્યુઆરી 2026ના રોજ મહેસાણાના ઇન્દિરાનગરમાં બુદ્ધ વિહાર સામે લગ્નનો વરઘોડો નીકળ્યો હતો. આ વરઘોડામાં નાચવા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં એક યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા આ મામલો હત્યામાં પરિણમ્યો હતો. આરોપીએ કોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા અરજી કરી હતીઆ ગુનામાં સંડોવાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર વયના આરોપી દ્વારા કોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. આ અરજી પરની સુનાવણી દરમિયાન સરકારી વકીલ પરેશકુમાર દવેએ ધારદાર દલીલો રજૂ કરી હતી. તેમણે ગુનાની ગંભીરતા અને પુરાવાઓને ધ્યાને રાખી આરોપીને જામીન ન આપવા રજૂઆત કરી હતી. મહેસાણા સેશન્સ કોર્ટે સગીર આરોપીની જામીન અરજી નાંજૂર કરીસરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી મહેસાણા સેશન્સ કોર્ટના જજ એમ.એફ. ખત્રીએ આરોપી સગીરની જામીન અરજી નાંજૂર કરી છે. આ ચુકાદાને પગલે હત્યાના ગુનામાં સામેલ તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 6:44 pm

ગોહિલવાડમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની નજીક:પાંચ દિવસમાં મહત્તમ તાપમાનમાં 6 ડિગ્રીનો ઉછાળો, 8 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો

માર્ચ મહિનાની શરૂઆત સાથે જ રાજ્યમાં ઉનાળાએ આકરા બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, જેમાં છેલ્લા પાંચ દિવસના આંકડાઓ પર નજર કરીએ તો ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને મહત્તમ તાપમાન 33.2 ડિગ્રીથી ઉછળીને સીધું 39.6 ડિગ્રીએ પહોંચી ગયું છે ભેજનું પ્રમાણ ઘટતા અને પવનની ગતિ ધીમી પડતા લોકો હવે આકરી અને સૂકી ગરમીનો સામનો કરી રહ્યા છે, પરંતુ હજુ બે દિવસ પહેલા જ ભાવનગરમાં મહત્તમ તાપમાન 39 ડીગ્રી ને પાર પહોંચી ગયું હતું ત્યારે આજે સપ્તાહની શરૂઆત સાથે સૂર્યનારાયણ ફરી આકરાં બન્યા હોય તેમ આજે શહેરમાં મહત્તમ તાપમાન 39.6 ડીગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 23.5 વાતાવરણમાં ભેજનું પ્રમાણ માત્ર 15 સાથે 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગરમ લૂ જેવો પવન ફૂંકાયો હતો, ગત શનિવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં તાપમાનને લઈ હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ હતું ત્યારે ઉનાળાની શરૂઆત જ આવી છે ત્યારે આગામી દિવસોમાં તાપમાનનો પારો ક્યાં પહોંચશે ? એવી ચર્ચાઓ એ વેગ પકડ્યો છે, છેલ્લા 5 દિવસનો તાપમાનનો પારો ક્રમશઃ વધ્યો તા.6 માર્ચ ને શુક્રવારના રોજ મહત્તમ તાપમાન 33.2 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21.2 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 26 ટકા અને પવનની ઝડપ 16 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી, તા.7 માર્ચ ને શનિવારના રોજ મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20.8 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 30 ટકા અને પવનની ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.8 માર્ચ ને રવિવારના રોજ મહત્તમ તાપમાન 37.6 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21.9 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 18 ટકા અને પવનની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.9 માર્ચ ને સોમવારના રોજ મહત્તમ તાપમાન 38.6 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21.9 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 18 ટકા અને પવનની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.10 માર્ચ ને મંગળવારના રોજ મહત્તમ તાપમાન 39.6 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23.5 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 15 ટકા અને પવનની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 6:40 pm

અવિધા ગામે 'જલ અર્પણ દિન'ની ઉજવણી:પાણી સંરક્ષણ અને જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો

ઝઘડિયા તાલુકાના અવિધા ગામે ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાના સમારકામ અને જાળવણી અંગે જાગૃતિ લાવવા માટે જલ અર્પણ દિનની ઉજવણી કરાઈ. આ કાર્યક્રમમાં ડેપ્યુટી કલેક્ટર પી.બી. વલવાઈ, કાર્યપાલક ઈજનેર, યુનિટ મેનેજર સહિતના અધિકારીઓ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ શાળાના વિદ્યાર્થીઓ, પાણી સમિતિના સભ્યો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ અને ગ્રામજનો દ્વારા પ્રભાતફેરી યોજીને થયો. આ પ્રભાતફેરીમાં પાણી બચત, સ્વચ્છતા અને પાણી સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. ત્યારબાદ મહેમાનોએ પાણી પુરવઠા યોજનાના ઘટકોના રક્ષણના પ્રતીકરૂપે નાડાછડી બાંધી પૂજન કર્યું. કાર્યક્રમમાં ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓના સમારકામ-જાળવણી અંગે માર્ગદર્શન અપાયું અને ગ્રામજનોને સામૂહિક પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ પ્રસંગે અવિધા ગામને હર ઘર જલ ગામ તરીકે જાહેર કરીને ગ્રામ પંચાયતને જળ કલશ અર્પણ કરાયો. આ ઉપરાંત, પાણી વેરા પ્રોત્સાહન યોજના હેઠળ કેટલાક ગામોને પેમેન્ટ ઓર્ડર અને પ્રમાણપત્રોનું વિતરણ પણ થયું. પાણી સંરક્ષણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનાર મહિલા ઓપરેટરો અને સ્વસહાય જૂથોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા કો-ઓર્ડિનેટર કમલેશ સિંધાએ કર્યું.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 6:39 pm

ડુમસ રોડ પરથી ચાલતું આંતરાજ્ય ઠગાઈનું નેટવર્ક:દેશભરમાં લોકોને લોન-જોબના નામે લૂંટતા કોલ સેન્ટરના કિંગને પાસા હેઠળ ભુજ જેલ ભેગો કરાયો

સુરત સાયબર ક્રાઈમ સેલ દ્વારા લોન અને જોબના બહાને લોકો સાથે છેતરપિંડી કરતા આંતરરાજ્ય કોલ સેન્ટરના મુખ્ય સૂત્રધાર નિતેશ ખવાણીની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. આરોપીને ભુજની સ્પેશિયલ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. ગેરકાયદેસર કોલ સેન્ટરનું નેટવર્કસુરત સાયબર ક્રાઈમ સેલ દ્વારા નવેમ્બર મહિનામાં શહેરના બે પોશ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું હતું કે, ડુમસ રોડ પર વેલેન્ટાઇન સિનેમા પાસે આવેલ ‘સ્વસ્તિક યુનિવર્સલ’ બિલ્ડિંગમાં “Smaex Enterprise Pvt Ltd” ના નામે એક ઓફિસ ચાલતી હતી. આ ઉપરાંત, પાલનપુર ગામ પાસે ‘રોયલ ટાઇટેનીયમ’ બિલ્ડિંગમાં પણ અન્ય એક ઓફિસ દ્વારા ઠગાઈનું નેટવર્ક ચલાવવામાં આવતું હતું. આ કોલ સેન્ટરો દ્વારા દેશભરના લોકોને ઓછા વ્યાજે પર્સનલ કે બિઝનેસ લોન અપાવવાની લાલચ આપવામાં આવતી. પ્રતિષ્ઠિત કંપનીઓમાં વર્ક-ફ્રોમ-હોમ કે ફૂલ ટાઈમ જોબની ઓફર કરવામાં આવતી.પ્રોસેસિંગ ફી અને સિક્યોરિટી ડિપોઝિટના નામે લાખો રૂપિયા પડાવવામાં આવતા હતા. નિતેશ ખવાણી વિરુદ્ધ ‘પાસા’ હેઠળ કાર્યવાહીપોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, આ સમગ્ર રેકેટનો માસ્ટરમાઈન્ડ નિતેશ વિજયકુમાર ખવાણી હતો. તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની વિવિધ કલમો જેવી કે 318(4) (છેતરપિંડી), 61(2) (ગુનાહિત કાવતરું) અને આઈ.ટી. એક્ટની કલમ 66(ડી) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીની ગુનાહિત પ્રવૃત્તિઓ અને સમાજ પર તેની ગંભીર અસરને ધ્યાને રાખીને, સાયબર ક્રાઈમ સેલ દ્વારા તેને 'પાસા' હેઠળ જેલમાં ધકેલવા માટે પોલીસ કમિશનરને દરખાસ્ત મોકલવામાં આવી હતી. સુરત પોલીસ કમિશનર દ્વારા આ દરખાસ્ત મંજૂર કરવામાં આવતા, આરોપી નિતેશને તાત્કાલિક અસરથી ઝડપી પાડી ભુજ સ્પેશિયલ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. કેવી રીતે થતી હતી ઠગાઈ?આ આંતરરાજ્ય ગેંગ ડેટા ચોરી કરીને લોકોના મોબાઈલ નંબર મેળવતી હતી. ત્યારબાદ ટેલિ-કોલર્સ દ્વારા પ્રોફેશનલ રીતે વાત કરીને લોકોને વિશ્વાસમાં લેવામાં આવતા. એકવાર ભોગ બનનાર વ્યક્તિ પૈસા ટ્રાન્સફર કરી દે, એટલે આ ગેંગ પોતાના નંબર બદલી નાખતી હતી. સુરત પોલીસની આ કામગીરીથી આવા અનેક ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 6:39 pm

ધો-12 સામાન્ય પ્રવાહ ગુજરાતી પરીક્ષા:12125 વિદ્યાર્થીઓ હાજર, 184 ગેરહાજર રહ્યા

સાબરકાંઠા જિલ્લામાં ધોરણ-12 સામાન્ય પ્રવાહની ગુજરાતી વિષયની પરીક્ષા બપોરના સેશનમાં યોજાઈ હતી. આ પરીક્ષામાં કુલ 12,125 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે 184 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. મંગળવારે બપોરે 3 કલાકે ગુજરાતી વિષયનું પેપર શરૂ થયું હતું. કુલ 12,309 વિદ્યાર્થીઓમાંથી 12,125 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે 184 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. નોંધનીય છે કે, 61 દિવ્યાંગ વિદ્યાર્થીઓમાંથી તમામ 61 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિષયવાર વિગતો જોઈએ તો, ગુજરાતી 001 (પ્રથમ ભાષા)માં 11,945 વિદ્યાર્થીઓમાંથી 11,765 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 180 ગેરહાજર રહ્યા હતા. મરાઠી (003) અને હિન્દી (002) વિષયમાં એક-એક વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો. અંગ્રેજી (006) વિષયમાં 362 વિદ્યાર્થીઓમાંથી 360 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે 2 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 6:37 pm

પાટણમાં મહિલા દિન નિમિત્તે સંગીત સંધ્યા યોજાઈ:સ્વર સંદીપ મ્યુઝિકલ ક્લબ દ્વારા આઠ મહિલા કલાકારોએ પ્રસ્તુતિ કરી

પાટણમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સ્વર સંદીપ મ્યુઝિકલ ક્લબ દ્વારા સંગીત સંધ્યાનું આયોજન કરાયું હતું. આર.કે. સ્ટુડિયો ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં આઠ મહિલા કલાકારોએ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમ ક્લબના FB Live કાર્યક્રમના 82મા એપિસોડ તરીકે ફેસબુકના માધ્યમથી જીવંત પ્રસારિત કરાયો હતો. આ સંગીત સંધ્યામાં અનિતાબેન ખત્રી, સુનિતાબેન પ્રજાપતિ, પિન્કીબેન પંચાલ, નેહાબેન પટેલ, સુનિતાબેન ઠાકર, જયશ્રીબેન જેઠવા, આરતીબેન ડબગર અને જ્યોતિબેન પટેલે ભાગ લીધો હતો. પરિવાર અને વ્યવસાયની વ્યસ્તતા વચ્ચે પણ આ મહિલા કલાકારોએ ભારતીય પોષાકમાં સજ્જ થઈને સંગીત પ્રસ્તુત કર્યું હતું, જેને સંગીતપ્રેમીઓએ ખૂબ માણ્યું હતું. સ્વર સંદીપ મ્યુઝિકલ ક્લબના ડાયરેક્ટર સંદીપભાઈ ખત્રીના આયોજન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. ક્લબના અનિતાબેન ખત્રી દ્વારા મહિલા દિન નિમિત્તે દરેક કલાકાર બહેનોનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન જ્યોતિબેન પટેલે કર્યું હતું, જેમણે મહિલાઓના વિશેષ મહત્વને સરળ શૈલીમાં રજૂ કર્યું હતું. હેમંતભાઈ કાટવાલા, હિતેશભાઈ ઠાકર, રાધેશ્યામભાઈ ઠાકર સહિત અન્ય સભ્યોએ ઉપસ્થિત રહી કલાકાર બહેનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ભરતભાઈ પેન્ટરે ફિલ્મ જગતમાં સફળતા મેળવેલી નામાંકિત હિરોઈનોના સુંદર કટઆઉટથી કાર્યક્રમ સ્થળનું સુશોભન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 6:34 pm

લુણાવાડામાં જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને મહિલા સંમેલન:વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર મહિલાઓનું સન્માન કરાયું

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે લુણાવાડા સ્થિત 42 પાટીદાર સમાજ ઘર ખાતે 'મહિલા સંમેલન'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં જિલ્લાના તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી. આ પ્રસંગે પ્રમુખ બાબુભાઈ પટેલે મહિલા શક્તિને સંબોધતા જણાવ્યું હતું કે, મહિલાઓ માટે માત્ર 8મી માર્ચ જ નહીં, પરંતુ વર્ષના તમામ 365 દિવસો મહત્વના છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ષ 2047 સુધીના 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવા માટે મહિલાઓના સશક્તિકરણ અને તેમના ઉચ્ચ સામાજિક સ્થાનને અનિવાર્ય ગણાવ્યું હતું. પોતાના ઉદ્બોધનમાં બાબુભાઈ પટેલે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, રાજકારણમાં 33 અનામતની જોગવાઈ અને 'ડ્રોન દીદી' જેવી ક્રાંતિકારી યોજનાઓ માટે બજેટમાં કરવામાં આવેલો વધારો મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવી રહ્યો છે. તેમણે પરિવારમાં માતા, પુત્રી અને બહેન તરીકેના યોગદાનને બિરદાવતા ઉમેર્યું કે, સ્ત્રી વિનાનું ઘર અંધકારમય છે અને આજે મહિલાઓ પુરુષ સમોવડી બની અશક્ય જણાતા કાર્યો કરી રહી છે. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર મહિલાઓ અને દીકરીઓનું મહાનુભાવોના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિધાર્થ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ચંદ્રિકાબેન ભાભોર, પ્રાંત અધિકારી ઉમેશ શાહ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મૈત્રીબેન, તાલુકા પંચાયત પ્રમુખ, તેમજ મહિલા અને બાળ વિકાસ અધિકારી એમ વી રોઝ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 6:27 pm

હાટકેશ્વર બ્રિજ ડિમોલીશન સમયે અકસ્માત સર્જાતા મહિલા ઈજાગ્રસ્ત:બ્રિજ નીચે મૂકવામાં આવેલી રેતીની બેગ ધસી પડી, મહિલાને સારવાર માટે ખસેડાઈ

અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ તોડવા માટેની મંજૂરી આપવામાં આવી છે. કોન્ટ્રાક્ટર દ્વારા હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે જે દરમિયાન આજે સાંજના સમયે હાટકેશ્વર બ્રિજ ની પાસે બ્રિજ તોડવા માટે નીચે રેતી- કોંક્રિટ કોથળા મૂકવામાં આવ્યા હતા જે કોથળાઓ એક સાથે નીચે પડ્યા હતા. બ્રિજની નીચે લારી લઈને ઊભેલી એક મહિલા ઉપર રેતી- કોંક્રિટના કોથળા પડ્યા હતા જેમાં મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી અને તેના માલ સામાનને પણ નુકસાન થયું હતું. મળતી માહિતી મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાટકેશ્વર ઓવરબ્રિજને તોડવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજના બંને તરફના છેડા તોડી પાડવામાં આવ્યા છે બ્રિજની વચ્ચેના ભાગે મુખ્ય રોડ ઉપર ના બે સ્પાન તોડવાના બાકી છે. છેલ્લા એક મહિનાથી આ કામગીરી બાકી હતી ત્યારે બ્રિજને તોડવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજ નીચે રેતી- કોંક્રિટના મોટા કોથળા મૂકવામાં આવ્યા છે જે કોથળા બ્રિજ નીચે રાખી અને ત્યારબાદ બ્રિજને તોડવામાં આવશે જેથી સીધો બ્રિજ નીચે બેસી જાય. આજે 10 માર્ચના રોજ સાંજના સમયે હાટકેશ્વર બ્રિજની નીચે રેતી- કોંક્રિટના મોટા પ્લાસ્ટિકના કોથળા મૂકવામાં આવેલા હતા તે એકાએક પડ્યા હતા અને સીધા બ્રિજ પાસે લારી લઈને ઉભેલી મહિલા ઉપર પડ્યા હતા. મહિલા કોથળાના નીચે આવી ગઈ હતી જેથી તાત્કાલિક સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તેમને બચાવ્યા હતા. કોથળા મહિલાની લારી ઉપર પણ પડતા તેને નુકસાન થયું હતું. મોટી સંખ્યામાં લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને કોન્ટ્રાક્ટરના માણસને ધમકાવ્યો પણ હતો. હાટકેશ્વર બ્રિજ તોડનાર કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય પ્રકારે સલામતી માટેના કોઈ બોર્ડ લગાવવામાં આવ્યા નહોતા. હાટકેશ્વર બ્રિજ નીચેનો રોડ સૌથી વ્યસ્ત રોડ ગણવામાં આવતો હોય છે ત્યારે આ રોડ બંધ કરી અને કામગીરી કરવી જરૂરી છે પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા રોડ બંધ કર્યા વિના જ આ કામગીરી શરૂ કરી દેવામાં આવતા આ ઘટના બની છે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 6:19 pm

કુંભાસણ સેવા સેતુમાં 2470 થી વધુ અરજદારોને લાભ:પાલનપુર તાલુકામાં 20 ગામના નાગરિકોને 27 સરકારી સેવાઓ મળી

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કુંભાસણ ગામે 'સેવા સેતુ 2.0' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 20 ગામોના 2470 થી વધુ અરજદારોને સરકારની વિવિધ 27 સેવાઓનો લાભ એક જ સ્થળે પૂરો પાડવામાં આવ્યો હતો. રાજ્ય વહીવટમાં પારદર્શિતા વધારવા, પ્રજાની રજૂઆતોનો ઝડપી ઉકેલ લાવવા અને લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવા માટે બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના નેતૃત્વમાં નિયમિત સેવા સેતુ કાર્યક્રમો યોજાય છે. આ જ કડીમાં કુંભાસણ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. પાલનપુર ગ્રામ્ય મામલતદાર શૈલેષ પ્રજાપતિએ માહિતી આપતા જણાવ્યું કે, સેવા સેતુ 2.0 અભિયાન અંતર્ગત કુંભાસણ ખાતે 20 ગામોને આવરી લેવામાં આવ્યા હતા. અહીં કુલ 27 જેટલી વિવિધ સરકારી સેવાઓ નાગરિકોને ઉપલબ્ધ કરાવાઈ હતી. કુલ 2470 થી વધુ નાગરિકોને સ્થળ પર જ મહાનુભાવો અને અધિકારીઓના હસ્તે વિવિધ સરકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વડીલો, માતાઓ અને બહેનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ અભિયાનને સફળ બનાવવા માટે તાલુકા વિકાસ અધિકારીની ટીમ, મામલતદાર કચેરી, પોસ્ટ અને બેંક, વન વિભાગ, આરોગ્ય વિભાગ, એસ.ટી. નિગમ, ICDS અને UGVCL જેવી વિવિધ કચેરીઓએ સહયોગ આપ્યો હતો. કાર્યક્રમને સારો પ્રતિસાદ મળ્યો હતો અને આગામી સમયમાં તાલુકાના અન્ય વિસ્તારોમાં પણ આવા કાર્યક્રમો યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. કુંભાસણ ગામના લાભાર્થી ધર્માભાઈ સાણોદરીયાએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે, તેમણે નવા વીજ કનેક્શન માટે અરજી કરી હતી, જે મંજૂર થતા તેમને સ્થળ પર જ નવું કનેક્શન મળી ગયું. તેમણે આ 'સેવા સેતુ' કાર્યક્રમ થકી ઘર આંગણે જ લાભ મળવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 6:13 pm

અમરેલીમાં “મહિલા સંમેલન–2026” યોજાયું:વિશિષ્ટ યોગદાન આપનાર મહિલાઓ અને સિદ્ધિ મેળવનાર દીકરીઓનું સન્માન

અમરેલી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા “મહિલા સંમેલન–2026”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં સમાજમાં વિશિષ્ટ યોગદાન આપનાર મહિલાઓ અને વિવિધ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનાર દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ જેવી કે, વ્હાલી દીકરી યોજના, મહિલા સ્વાવલંબન યોજનાના મંજૂરી હુકમોનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત, ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજનાના ચેક, દીકરી વધામણા કીટ, હાઈજીન કીટ અને અનાથ દીકરીઓને કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશ પાથર અને જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલા નેતૃત્વ સબળ બને તે હેતુથી અમલી મહિલા આરક્ષણ અંતર્ગત જિલ્લાની સમરસ મહિલા ગ્રામ પંચાયતોના સરપંચોનું વિશેષ સન્માન કરાયું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશ પાથરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, મહિલા ઉત્કર્ષ માટે રાજ્ય સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચી રહ્યો છે. તેમણે ઉમેર્યું કે, મહિલાઓ સશક્ત બનીને દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભાનો પરિચય આપી રહી છે. જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યાએ જણાવ્યું કે, આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ લીડરશીપ સાથે આગળ ધપી રહી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મહિલા ઉત્કર્ષ માટેની વિવિધ સરકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોંચી રહ્યો છે. તેમણે સખી મંડળો થકી મહિલાઓના આર્થિક સશક્તિકરણ પર ભાર મૂક્યો હતો. આ મહિલા સંમેલનમાં જિલ્લા પંચાયત સભ્યો, અમરેલી નગરપાલિકાના ઉપપ્રમુખ અને સભ્યો, જિલ્લા મહિલા અને બાળવિકાસ અધિકારી શૈલેષભાઈ કણઝરીયા, આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને બહોળી સંખ્યામાં મહિલાઓ તથા દીકરીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 5:58 pm

રાજ્યમાં નહીં થાય રાંધણ ગેસની અછત:ઋષિકેશ પટેલે આપી હૈયાધારણાં, 21 વર્ષની યુવતીએ સગીરને ભગાડ્યો, બોમ્બની ધમકી મળવાનો સિલસિલો યથાવત્

ઊર્જા મંત્રીએ ગેસ સપ્લાય મુદ્દે આપી હૈયાધારણાં મિડલ ઇસ્ટ તણાવ વચ્ચે રાજ્યમાં રાંધણ ગેસની સંભવિત સમસ્યા પર ઊર્જા મંત્રીએ આશ્વાસન આપ્યું. ગેસની તંગી ન સર્જાય તે માટે ઈન્ડસ્ટ્રિયલ ગેસમાં 50 ટકાનો કાપ કર્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કોંગ્રેસે શરુ કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારી કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રક્રિયા શરૂ કરી.. QR કોડ મારફતે ઉમેદવારી કરવા માંગતા લોકોની અરજી મંગાવવામાં આવી છે. 11થી 20 માર્ચ દરમિયાન ઉમેદવારોને સાંભળવામાં આવશે.. 50% બેઠક પર યુવાનોને તક અપાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાસપોર્ટ ઓફિસ,પોસ્ટ ઓફિસ અને યુનિ.ને ધમકી વડોદરાની પારુલ યુનિ, ભાવનગર પાસપોર્ટ વિભાગ અને સુરત, જૂનાગઢમાં પોસ્ટ ઓફિસ, રાજકોટ પોસ્ટ ઓફિસ, પાસપોર્ટ ઓફિસ અને અમદાવાદ પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્રતિબંધિત ડ્રગ્સ સપ્લાય કરતા આરોપીઓ ઝડપાયા ગુજરાત એટીએસે વિદેશમાં પ્રતિબંધિત ડ્રગ્સને ખોટા લેબલથી સપ્લાય કરતા સુરતના ત્રણ અને અન્ય 2 યુવકોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ એલોવેરા પાઉડરના નામે સ્પેસ ઓઈલ તરીકે ઓળખાતા ડ્રગ્સને અલગ અલગ દેશોમાં પહોંચાડતા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સુદાનના યુવકનું રોડ અકસ્માતમાં મોત ગાંધીનગરમાં સુદાનના યુવકનું રોડ અકસ્માતમાં મોત થયું. ઈન્દ્રોડા ગામના કટ પાસે યુવકનું એક્ટિવા બેરીકેડ સાથે અથડાયું અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 21 વર્ષની યુવતીએ 17 વર્ષના સગીરને ભગાડ્યો રાજકોટના વિરપુરના 17 વર્ષના સગીરને મધ્યપ્રદેશની 21 વર્ષીય યુવતી ભગાડી ગઈ.. બંને વચ્ચે ઈન્સ્ટાગ્રામના માધ્યમથી પ્રેમ પાંગર્યો હતો.જો કે પોલીસે સુરત રેલવે સ્ટેશન પર બંનેને પકડીને સગીરને તેના પરિવારને સોંપ્યો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 16 વર્ષના સગીરે 3થી 4 વાહનોને અડફેટે લીધા વડોદરામાં 16 વર્ષના સગીરે પૂરઝડપે કાર ચલાવીને 3થી 4 વાહનોને અડફેટે લીધા હતા..કાર અમિતનગર બ્રિજ નીચે ટેમ્પો સાથે અથડાઈને અટકી ગઈ. જે બાદ ટોળાએ સગીરને મેથીપાક ચખાડ્યો. સગીર માતાપિતાની જાણ બહાર કાર લઈને આઈસક્રીમ ખાવા નીકળી પડ્યો હતો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બુટલેગરે PI પર નોટોનો વરસાદ કર્યો મહેસાણાના કટોસણ ગામમાં બુટલેગરે પીઆઈ પર રુપિયા વરસાવ્યા.નોટોનો આ વરસાદમાં પોલીસ વિભાગની આબરુ ધોવાઈ જતા મહેસાણા એસપીએ તાત્કાલિક અસરથી પીઆઈને સસ્પેન્ડ કરી દીધા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો GFના ખભે હાથ મુકી હાર્દિક પંડ્યા એરપોર્ટથી રવાના ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં જીત મેળવ્યા બાદ આજે હાર્દિક પંડ્યા ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે અમદાવાદ એરપોર્ટથી રવાના થયા. તો અભિષેક શર્મા પણ મુંબઈ જવા રવાના થયો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો માર્ચની શરુઆતમાં જ પારો 41ને પાર પહોંચ્યો માર્ચની શરુઆતમાં જ તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું. રાજકોટ- અમદાવાદમાં પારો 41ને પાર પહોંચ્યો.. હજુ 3 દિવસ અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 5:55 pm

સુરત મનપાનું મુખ્યાલય 'મુઘલસરાઈ'નું નામ બદલીને ‘તાપી ભવન’ રખાયું:આસપાસના વિસ્તારનું નામ ‘તાપીપુરા’ રાખવાની દરખાસ્ત સર્વાનુમતે મંજૂર

સુરત મહાનગરપાલિકાની વર્તમાન ટર્મની છેલ્લી સામાન્ય સભામાં એક ઐતિહાસિક નિર્ણય લેતા મનપાના મુખ્યાલય 'મુઘલસરાઈ'નું નામ બદલીને હવે ‘તાપી ભવન’ અને આસપાસના વિસ્તારનું નામ ‘તાપીપુરા’ રાખવાની દરખાસ્ત સર્વાનુમતે મંજૂર કરવામાં આવી છે. મેયર દક્ષેશ માવાણી દ્વારા રજૂ કરવામાં આવેલી આ દરખાસ્તને શાસક અને વિપક્ષ બંનેના નગરસેવકોએ સનાતન ધર્મની જય ના નારા અને બેન્ચ થપથપાવીને ઉત્સાહભેર વધાવી લીધી હતી. સુરત શહેરના ગૌરવશાળી સાંસ્કૃતિક વારસા અને તાપી નદીના મહત્વને ઉજાગર કરવાના હેતુથી લેવાયેલા આ નિર્ણયથી સાત વર્ષ જૂની માંગણી સંતોષાઈ છે, જેમાં અગાઉ ભાજપના નગરસેવક વિજય ચોમાલે આ નામ બદલવાની રજૂઆત કરી હતી. સુરત મનપાની મુખ્ય કચેરી અને મુગલીસરાના નામ બદલાયાસુરતના ઐતિહાસિક વારસા અને તાપી નદીના મહિમાને ઉજાગર કરવા માટે સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણી દ્વારા એક મહત્વપૂર્ણ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ દરખાસ્તમાં મહાનગરપાલિકાની મુખ્ય વહીવટી કચેરી (હેડ ક્વાર્ટર) અને તેની આસપાસના 'મુગલીસરા' વિસ્તારનું નામ બદલવા માટે ઠરાવવામાં આવ્યું છે. મુગલીસરા હવે 'શ્રી તાપી પુરા' તરીકે ઓળખાશેમેયરની પ્રથમ દરખાસ્ત મુજબ, સુરતના સેન્ટ્રલ ઝોનમાં આવેલો અને વર્ષોથી 'મુગલીસરા' તરીકે પ્રચલિત વિસ્તાર હવે 'શ્રી તાપી પુરા' તરીકે ઓળખાશે. આ નિર્ણય પાછળ તાપી નદીની પવિત્રતા અને પૌરાણિક ગ્રંથ 'શ્રી તાપી મહાપુરાણ'નો સંદર્ભ લેવામાં આવ્યો છે. તાપી નદીને સૂર્યપુત્રી અને શનિદેવની બહેન માનવામાં આવે છે, જે સુરતની જાહોજલાલીનો મુખ્ય સ્ત્રોત રહી છે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 5:54 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:માર્ચમાં જ માથું ફાટે એવી ગરમી, પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી પોલીસ દોડી

દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 5:35 pm

પાલનપુરમાં મેગા રોજગાર મેળો: 506 જગ્યાઓ માટે ભરતી:17 એપ્રિલે 18-30 વર્ષના ઉમેદવારો ભાગ લઈ શકશે; વિઠલાપુર, સાણંદ અને અંજારની કંપનીઓ ઉપસ્થિત રહેશે

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આગામી 17 એપ્રિલ, બુધવાર, 2024 ના રોજ જિલ્લા કક્ષાનો મેગા રોજગાર ભરતી મેળો યોજાશે. જિલ્લા રોજગાર કચેરી, પાલનપુર દ્વારા આયોજિત આ મેળામાં કુલ 506 ખાલી જગ્યાઓ માટે સીધી ભરતી કરવામાં આવશે. આ ભરતી મેળો નગરપાલિકા ટાઉન હોલ, જહાઆરા બાગ, ફાયર સ્ટેશનની બાજુમાં, પાલનપુર ખાતે સવારે 09:30 કલાકે શરૂ થશે. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય બનાસકાંઠા જિલ્લાના રોજગારવાંચ્છુ યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તકો પૂરી પાડવાનો છે. વિવિધ નામાંકિત કંપનીઓ દ્વારા આ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ભરતી મેળામાં વોલ્ટાસ બેકો પ્રા.લી., મિત્સુબિશી ઇલેક્ટ્રિક ઓટોમોટીવ, ટાટા ઓટોકોમ્પ, જે.બી.એમ. પ્રા.લી., અરવિંદ મિલ્સ લિમિટેડ, વેલસ્પન લીવિંગ, યુનો મિંડા લાઈટિંગ અને જે.એન.એસ. જેવી વિઠલાપુર, સાણંદ અને અંજારની કંપનીઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, સ્થાનિક સ્તરે મહેશ બજાજ, કિયા મોટર્સ, સારથી ટોયોટા, સારથી હીરો, લીક-પ્રૂફ એન્જિનિયરિંગ (છાપી), વસંત ફેબ્રિકેટર્સ (છાપી) અને એચ.ડી.એફ.સી. લાઈફ ઈન્સ્યોરન્સ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ જોડાશે. આ ભરતી મેળામાં 18 થી 30 વર્ષની વય મર્યાદા ધરાવતા તેમજ એસ.એસ.સી., એચ.એસ.સી., આઈ.ટી.આઈ. કે સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવતા પુરુષ અને મહિલા ઉમેદવારો ભાગ લઈ શકશે. રસ ધરાવતા ઉમેદવારોએ પોતાના બાયોડેટાની નકલ, શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રો અને તેની નકલ, તથા ફોટોગ્રાફ સાથે સ્વ-ખર્ચે રૂબરૂ ઉપસ્થિત રહેવા જિલ્લા રોજગાર અધિકારી એમ. જે. પ્રજાપતિ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આ ભરતી મેળા અંતર્ગત આપવામાં આવતી તમામ સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 5:31 pm

એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:સગીર પ્રેમીને લઈ ભાગેલી યુવતી રેલવે સ્ટેશનથી ઝડપાઈ, 20 કરોડના ખર્ચે બનેલા ઓડિટોરિયમનું રિનોવેશન પાછળ 23 કરોડનો ખર્ચ!

દિવ્ય ભાસ્કર એપ દ્વારા સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 5:30 pm

વલસાડ: અર્ટિગા કારમાંથી રૂ. 96 હજારનો દારૂ ઝડપાયો:સુરતના કાર ચાલક સહિત બેની ધરપકડ, રૂ. 4.06 લાખનો મુદ્દામાલ જપ્ત

વલસાડ રૂરલ પોલીસે ગુંદલાવ બ્રિજ પાસે નેશનલ હાઈવે 48 પરથી એક અર્ટિગા કારમાંથી રૂ. 96,000નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે સુરતના ચાલક સહિત બે શખ્સોની ધરપકડ કરી કુલ રૂ. 4.06 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ અંકિત કનુભાઈ અને તેમની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. સુરત તરફ જતી શંકાસ્પદ સફેદ રંગની અર્ટિગા કારને ગુંદલાવ બ્રિજ ઉતરતા છેડે રોકવામાં આવી હતી. તલાશી લેતા કારમાં બનાવેલા ચોરખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 768 બોટલ (138.24 લિટર) વિદેશી દારૂ, જેની કિંમત રૂ. 96,000 છે, તે જપ્ત કર્યો હતો. આ મામલે રાહુલ હિંમતભાઈ ભીલ (ઉં.વ. 26, રહે. કાપોદ્રા, વરાછા રોડ, સુરત, મૂળ અમરેલી) અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરની ધરપકડ કરવામાં આવી છે. દારૂ ઉપરાંત પોલીસે રૂ. 3,00,000ની અર્ટિગા કાર અને રૂ. 10,000ના બે મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે, આમ કુલ રૂ. 4,06,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો 'સોનુ' નામના વ્યક્તિએ મંગાવ્યો હતો, જે હાલ વોન્ટેડ છે. વલસાડ રૂરલ પોલીસે પ્રોહિબિશન એક્ટ અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ASI જયેશ રતિલાલભાઈને સોંપી છે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 5:27 pm

ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર 16 માર્ચે બંધ રહેશે:પ્રક્ષાલન વિધિ માટે સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી દર્શન બંધ

સાબરકાંઠા જિલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે આવેલું અંબિકા માતાજીનું મંદિર 16 માર્ચ, સોમવારના રોજ પ્રક્ષાલન વિધિ માટે બંધ રહેશે. આ દિવસે ભક્તો માતાજીના દર્શન કરી શકશે નહીં. ફાગણ વદ બારશના રોજ યોજાનારી આ વિધિને કારણે મંદિર સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે, 19 માર્ચથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે, તે પૂર્વે આ પ્રક્ષાલન વિધિનું આયોજન કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 5:25 pm

ધ્રોલની સરકારી શાળાના બે વિદ્યાર્થીઓ CET ટોપ-10માં:5.90 લાખ વિદ્યાર્થીઓ વચ્ચે મેળવ્યો રાજ્યમાં 9મો અને 10મો ક્રમ

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાની નાના ગરેડિયા પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓએ CET પરીક્ષામાં રાજ્ય કક્ષાએ 9મો અને 10મો ક્રમ મેળવી સિદ્ધિ હાંસલ કરી છે. 5.90 લાખ વિદ્યાર્થીઓ વચ્ચે આ તેજસ્વી તારલાઓએ કોઈ પણ ટ્યુશન વગર માત્ર શાળાની મહેનતથી આ ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત કર્યું છે. રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-5 માટે લેવાયેલી CET (Common Entrance Test) 2025-26 ના પરિણામોમાં આ નાનકડા ગામની સરકારી શાળાએ સમગ્ર ગુજરાતમાં ધ્યાન ખેંચ્યું છે. આ સ્પર્ધાત્મક પરીક્ષામાં રાજ્યભરની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓના અંદાજે 5,90,000 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી નાના ગરેડિયા પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓએ રાજ્યના ટોપ-10 માં સ્થાન મેળવ્યું છે. મકવાણા લવ મનીષભાઈએ 120 માંથી 104 ગુણ સાથે રાજ્યમાં 9મો ક્રમ અને શિયાર ધ્રુવી નાથાભાઈએ 120 માંથી 103 ગુણ સાથે રાજ્યમાં 10મો ક્રમ પ્રાપ્ત કર્યો છે.આ સફળતા એટલા માટે પણ વિશેષ છે કારણ કે આ વિદ્યાર્થીઓએ કોઈ ખાનગી ટ્યુશનનો સહારો લીધો નહોતો. શાળાના શિક્ષકોના માર્ગદર્શન, પ્રોત્સાહન અને અથાગ પ્રયત્નોથી જ આ સિદ્ધિ શક્ય બની છે. ધ્રોલ તાલુકાની તમામ શાળાઓમાં આ પરિણામ સર્વશ્રેષ્ઠ રહ્યું છે, જે સરકારી શાળાઓની ગુણવત્તાનો ઉત્તમ દાખલો પૂરો પાડે છે.આ ઐતિહાસિક સફળતા બદલ શાળાના આચાર્ય, શિક્ષકગણ અને ગ્રામજનોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. ગામના અગ્રણીઓએ પણ બાળકોની મહેનત અને શાળાની શિક્ષણ પદ્ધતિને બિરદાવી છે.શાળા પરિવારે આ તકે દાતાઓને અને શિક્ષણપ્રેમીઓને અપીલ કરી છે કે, ગ્રામીણ પ્રતિભાઓને વધુ પ્રોત્સાહન મળે તે માટે શાળાના વિકાસમાં યથાશક્તિ યોગદાન આપે. જેથી ભવિષ્યમાં વધુ બાળકો રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ ગામનું નામ રોશન કરી શકે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 5:21 pm

સરદાર પટેલ યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રોનિક્સ વિભાગનો વાર્ષિકોત્સવ:સક્ષમ સેન્ટર અને સ્પેશિયલ એજ્યુકેશન સેલ પણ જોડાયા

સરદાર પટેલ યુનિવર્સિટીના પી.જી. ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને “સક્ષમ સેન્ટર ફોર એમ્પાવરમેન્ટ એન્ડ રિહેબિલિટેશન ઓફ દિવ્યાંગજન” બી.એડ., એમ.એડ. સ્પેશિયલ એજ્યુકેશન સેલ દ્વારા મંગળવાર, 10 માર્ચ 2026ના રોજ વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સવારે 11:00 વાગ્યે સંતરામ સભાગૃહ, ઇલેક્ટ્રોનિક્સ વિભાગમાં યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન ઇલેક્ટ્રોનિક્સ વિભાગના પ્રમુખ ડૉ. વિભા વૈષ્ણવ અને બી.એડ., એમ.એડ. સ્પેશિયલ એજ્યુકેશન સેલના વિભાગપ્રમુખ ડૉ. દિલીપ શર્માના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોએ આ વાર્ષિકોત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજન સર ઉપસ્થિત રહ્યા હતા. IISc બેંગલોરના પ્રોફેસર ડૉ. હાર્દિક પંડ્યા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ઇલેક્ટ્રોનિક્સ વિભાગના વિભાગપ્રમુખના સંબોધનથી થઈ હતી. ડૉ. દિલીપ શર્માએ મુખ્ય અતિથિનું સ્વાગત કર્યું, જ્યારે ડૉ. વિભા વૈષ્ણવે કુલપતિનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ઇલેક્ટ્રોનિક્સ વિભાગનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. કુલપતિ પ્રો. નિરંજન સરે વિદ્યાર્થીઓને સંબોધિત કરતા જણાવ્યું કે વિશેષ શિક્ષણના ક્ષેત્રમાં બી.એડ્. કોર્સ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ માટે રોજગારની વિશાળ તકો ઉપલબ્ધ છે. તેમણે ઉમેર્યું કે આ ક્ષેત્રમાં તાલીમબદ્ધ શિક્ષકોની માંગને કારણે કોર્સ પૂર્ણ કર્યા બાદ લગભગ 100 ટકા રોજગારની ખાતરી છે. સ્પેશિયલ બી.એડ. વિભાગનો વાર્ષિક અહેવાલ પણ રજૂ કરાયો હતો. મુખ્ય અતિથિ ડૉ. હાર્દિક પંડ્યાએ ઇલેક્ટ્રોનિક્સ વિશેષ શિક્ષણમાં કેવી રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. અંતે, ડૉ. દિલીપ શર્મા દ્વારા આભારવિધિ અને વંદેમાતરમ રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 5:08 pm

CVM યુનિવર્સિટીએ અમેરિકાની WPI સાથે કર્યા MoU:આંતરરાષ્ટ્રીય સંશોધન અને શૈક્ષણિક સહયોગ મજબૂત બનશે

CVM યુનિવર્સિટીએ અમેરિકાની વર્સેસ્ટર પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ યુનિવર્સિટી (WPI) સાથે આંતરરાષ્ટ્રીય સહયોગ મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) કર્યા છે. 9 માર્ચ, 2026ના રોજ વલ્લભ વિદ્યાનગર સ્થિત CVM યુનિવર્સિટી ખાતે આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સહયોગનો મુખ્ય ઉદ્દેશ બંને સંસ્થાઓ વચ્ચે શૈક્ષણિક આદાન-પ્રદાન અને ઉચ્ચ સ્તરીય સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે. WPI યુનિવર્સિટી અમેરિકાના મેસાચ્યુસેટ્સ રાજ્યના વુસ્ટર શહેરમાં આવેલી એક અગ્રણી સંશોધન યુનિવર્સિટી છે, જેની સ્થાપના 1865માં થઈ હતી. આ સંસ્થા વિજ્ઞાન, ઇજનેરી, કલા, વ્યવસાય અને વૈશ્વિક શિક્ષણ ક્ષેત્રે તેની વિશિષ્ટ ઓળખ ધરાવે છે. WPI તેની પ્રોજેક્ટ આધારિત શૈક્ષણિક પદ્ધતિ (Project-Based Learning) માટે આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી છે, જેમાં વાસ્તવિક જીવનની સમસ્યાઓના ઉકેલને અભ્યાસક્રમ સાથે જોડવામાં આવે છે. તેને R1 સંસ્થા તરીકે માન્યતા મળી છે, જે તેને ઉચ્ચ સ્તરની સંશોધન પ્રવૃત્તિ ધરાવતી અમેરિકાની અગ્રણી યુનિવર્સિટીઓમાં સ્થાન આપે છે. 2025ના પ્રિન્સટન રિવ્યુ મુજબ, WPIએ કરિયર પ્લેસમેન્ટ માટે 15મું અને U.S. News World Report મુજબ ઇન્ટર્નશિપ/કો-ઓપ કાર્યક્રમો માટે 11મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. યુનિવર્સિટીમાં 20 NCAA Division III વર્સિટી સ્પોર્ટ્સ ટીમો સાથે સક્રિય કેમ્પસ જીવન અને નવીનતા તથા સંશોધનની મજબૂત સંસ્કૃતિ પણ જોવા મળે છે. આ MoU અંતર્ગત સંયુક્ત સંશોધન, વિદ્યાર્થી અને સ્ટાફ એક્સચેન્જ, સંયુક્ત પ્રોજેક્ટ માર્ગદર્શન, સંશોધન ભંડોળ મેળવવા માટે સહયોગ અને એકબીજાની સુવિધાઓનો ઉપયોગ જેવા મુખ્ય હેતુઓ સમાવિષ્ટ છે.આ કરાર હેઠળ, વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો સંયુક્ત રીતે આંતરરાષ્ટ્રીય સંશોધન પેપર્સ તૈયાર કરી શકશે. વિદ્યાર્થીઓ અને સંશોધનકર્તાઓ એકબીજાની સંસ્થાઓમાં જ્ઞાનનું આદાન-પ્રદાન કરી શકશે. અનુસ્નાતક વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સને બંને સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સંશોધન માટે ગ્રાન્ટ મેળવવા માટે પણ બંને સંસ્થાઓ સંયુક્ત અરજીઓ કરશે. ઉપરાંત, બંને યુનિવર્સિટીઓ એકબીજાની અદ્યતન પ્રયોગશાળાઓ અને અન્ય સુવિધાઓનો ઉપયોગ કરી શકશે.આ MoU પર WPI યુનિવર્સિટી વતી ડૉ. શ્રીકુમાર પન્યામ અને CVM યુનિવર્સિટી વતી પ્રોફેસર ડૉ. ઇન્દ્રજીત પટેલે હસ્તાક્ષર કર્યા હતા. CVM યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલ અને ગવર્નિંગ બોડીના સભ્યોએ આ પહેલને આવકારી હતી. તેમણે વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગદાન આપે અને યુનિવર્સિટીને આગવી ઓળખ મળે તે દિશામાં સઘન કાર્ય કરવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 5:05 pm

સજની હત્યા કેસ, આરોપી પતિના જામીન નકારતી કોર્ટ:15 વર્ષે ઝડપાયો'તો, મિત્રની ખોટી ઓળખ ઉભી કરી વિદેશ જઈ આવ્યો; બીજી પત્ની ને સંતાનો ઓસ્ટ્રેલિયામાં

અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશને આરોપી પતિ તરુણ જીનરાજ સામે પત્નીની હત્યા અને દહેજ પ્રતિબંધ અધિનિયમ અંતર્ગત સહિતની કલમો મુજબ 2003માં ગુનો નોંધાયો હતો. પત્નીની હત્યા બાદ આરોપી પતિ ફરાર થઈ ગયો હતો. જે 15 વર્ષે પકડાયો હતો. તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે નકારી નાખી છે. પત્નીનું ગળું દબાવીને હત્યા કરી, પોલીસે બેંગ્લોરથી ઝડપ્યોમળતી માહિતી અનુસાર, 2002માં તેના લગ્ન થયા હતા. તેને અને તેના પરિવારે તેની પત્ની ઉપર માનસિક ત્રાસ ગુજારીને દહેજની માંગ કરી હતી. માત્ર ત્રણ મહિનામાં તેને પત્નીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો. 2018માં તેને પોલીસે બેંગ્લોરથી ઝડપી પાડ્યો હતો. મિત્રને ત્યાં રોકાયો ને ત્યાં આરોપીએ બીજા લગ્ન કર્યા તે પત્નીની હત્યા બાદ ભાગીને મધ્યપ્રદેશમાં એક મિત્રને ત્યાં રોકાયો હતો. જા તેને પોતાની ઓળખ બદલીને મિત્રના નામના ખોટા ડોક્યુમેન્ટ ઊભા કર્યા હતા. જેના આધારે તેને નોકરી કરવાની પણ શરૂ કરી દીધી હતી. ત્યાં તેને બીજા લગ્ન પણ કર્યા હતાં. તેની સામે સેટેલાઈટ અને ભોપાલ પોલીસ મથકે પણ ફરિયાદ નોંધાઈ હતી. બાકીના આરોપીઓ સામે 2005માં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. 2019માં આરોપી સામે પુરવણી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જામીનનો દુરુપયોગ કર્યો ને પોલીસ સમક્ષ સરેન્ડર ના થયોઅરજદાર તરફે વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, ખોટી વાર્તા ઊભી કરીને આરોપીને કેસમાં ફસાવી દેવામાં આવ્યો છે. 2018થી તે જેલમાં છે. 2023માં તેની સામે ચાર્જ ફ્રેમ થઈ ચૂક્યો છે અને ટ્રાયલ પણ ચાલી રહી છે. જ્યારે સામે સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે. અગાઉ તેને હંગામી જામીન આપવામાં આવતા તેને તેનો દુરુપયોગ કર્યો હતો અને પોલીસ સમક્ષ સરેન્ડર થયો નહોતો. ‘જો આરોપીને જામીન મળે તો તે ભાગી જાયની શકયતા’કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી લાંબા સમય સુધી ફરાર હતો. તેની બીજી પટ્ટી અને બાળકો ઓસ્ટ્રેલિયામાં રહે છે. આરોપી પોતાની ખોટી ઓળખ ઉભી કરીને અમેરિકા પણ જઈ આવ્યો છે. આ કેસમાં આરોપીને આજીવન કારાવાસ સુધીની સજા થઈ શકે છે. તેની પૂર્વ ગુન્હા નોંધાયેલા છે. જો આરોપીને જામીન આપવામાં આવે તો તે ભાગી જાય તેવી પૂરી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 5:03 pm

વડોદરામાં બે સ્થળોએ રોડ અકસ્માત:અલકાપુરીમાં પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર દીવાલ સાથે અથડાઈ, યુવક ઇજાગ્રસ્ત, સેવાસીમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત, બાઈક ચાલક ઈજાગ્રસ્ત

વડોદરા શહેરના અલકાપુરી અને સેવાસી વિસ્તારમાં બે અલગ-અલગ સ્થળોએ રોડ અકસ્માતની ઘટનાઓ સર્જાઈ છે, જેમાં અલકાપુરી વિસ્તારમાં પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર દીવાલ સાથે અથડાઈ હતી, જેમાં કાર ચાલક યુવક ઇજાગ્રસ્ત થયો છે. સેવાસી વિસ્તારમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક ચાલક ઈજાગ્રસ્ત થયો છે. બંને કેસમાં પોલીસે તપાસ હાથ ધરી છે. ગોત્રી વિસ્તારમાં કાર દિવાલ સાથે અથડાઈ વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા નિલેશ એપાર્ટમેન્ટમાં રહેતા 26 વર્ષીય આદિત્ય મુકેશભાઈ મોદીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેઓ સવારે સાડા ચાર વાગ્યે નોકરીમાંથી છૂટ્યા બાદ પોતાની ફોર વ્હીલર ડિઝાયર કાર (નંબર GJ 07 DC 4175) લઈને મિત્ર બીપીન ત્રિવેદીને મયંક એપાર્ટમેન્ટ, ગોત્રી ખાતે ઉતાર્યા હતા. ત્યારબાદ તેમણે મિત્રને ફોન કરી રેલ્વે સ્ટેશન ખાતે નાસ્તો કરવા જવાનું કહ્યું હતું, તેમની પણ નાઈટ શિફ્ટ હોવાથી તેઓ તેમને લેવા ગયા હતા. બંને કારમાં બેસી ગેંડા સર્કલ થઈ ગુંજ સોસાયટી વાળા રોડ પર પૂરઝડપે કાર ચલાવી રહ્યા હતા. સવારે આશરે પાંચ વાગ્યાના સુમારે કુંજ પ્લાઝા ચાર રસ્તા પાસે કુંજ સોસાયટી ઘર નંબર 3ની દિવાલ સાથે કાર અથડાઈ ગઈ હતી. અકસ્માતમાં આદિત્ય મોદીને ડાબા કાન પાસે, ડાબી આંખ ઉપર, જમણા પગના ઘૂંટણ પાસે તથા ડાબા પગના ઘૂંટણ પાસે મૂઢમાર ઈજા થઈ હતી. પ્રિયંકા દવેને જમણા થાપા અને જમણા હાથના ખભાના ભાગે ઈજા થઈ હતી. કારનો આગળનો ભાગ નુકસાનગ્રસ્ત થયો છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. સેવાસી એફજીઆઈ સામે બાઈક-કાર વચ્ચે અકસ્માત બીજી તરફ, વડોદરા શહેરના સેવાસી એફજીઆઈ સામે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકને નાની-મોટી ઈજાઓ થઈ હતી. અકસ્માતના કારણે બાઈકનું આગળનું વ્હીલ નિકળી ગયું હતું. આ ઘટનામાં પણ કોઈ ગંભીર જાનહાનિ થઈ નથી. બંને અકસ્માતોમાં પોલીસે તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 4:59 pm

વલસાડ અતુલ-દિવેદ બ્રિજ 3 વર્ષમાં જ જર્જરિત:ગાબડામાંથી સળિયા દેખાતાં વાહનચાલકો માટે જોખમ વધ્યું

વલસાડ તાલુકામાં અતુલ અને દિવેદ ગામને જોડતો કરોડોના ખર્ચે બનેલો મહત્વનો બ્રિજ લોકાર્પણના માત્ર ત્રણ વર્ષમાં જ જર્જરિત થઈ ગયો છે. બ્રિજ પરથી ડામરના પોપડા ઉખડી જતાં લોખંડના સળિયા બહાર આવી ગયા છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમ ઊભું થયું છે. બ્રિજની આ સ્થિતિને કારણે રાત્રિના સમયે સળિયા સ્પષ્ટ દેખાતા ન હોવાથી વાહનચાલકોના પટકાવાના અને અકસ્માત થવાનો ભય રહેલો છે. આ બ્રિજનું લોકાર્પણ ત્રણ વર્ષ પહેલાં રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. બ્રિજની જર્જરિત હાલત અંગે તંત્રની ઉદાસીનતા જોવા મળી રહી છે. સ્થાનિક ગ્રામજનોએ અત્યાર સુધીમાં બે વખત પોતાના ખર્ચે બ્રિજનું સમારકામ કરાવ્યું છે. જોકે, હલકી ગુણવત્તાના કામને કારણે થોડા જ સમયમાં સળિયા ફરીથી બહાર આવી જાય છે. સ્થાનિકોમાં સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતને કારણે પ્રજાના ટેક્સના પૈસાનો દુર્વ્યય થયો હોવાનો રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ અને કસૂરવાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવાની માંગ કરી છે. જો વહેલી તકે આ સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે, તો આવનારા દિવસોમાં આ બ્રિજ કોઈ મોટી દુર્ઘટનાનું કારણ બની શકે તેવી ભીતિ છે. વલસાડ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર જતીન પટેલે જણાવ્યું હતું કે, દિવેદ-અતુલને જોડતા બ્રિજ પર અગાઉ પણ કોન્ટ્રાક્ટર દ્વારા પેચવર્ક કરવામાં આવ્યું હતું. જોકે, સ્થાનિક વાહનચાલકો દ્વારા પેચવર્કને સૂકવવાનો પૂરતો સમય ન અપાતા આ પરિસ્થિતિ ઊભી થઈ છે. આગામી દિવસોમાં રિપેરિંગ કરી તાત્કાલિક ડામર પાથરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 4:56 pm

બ્લાસ્ટ બાદ આગથી અફરાતફરી:કાળઝાળ ગરમી વચ્ચે મહિધરપુરાની આંગડિયા પેઢીમાં એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ, આગમાં બધું બળીને ખાખ પણ લાખોની રોકડનો આબાદ બચાવ

સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. વધતા જતા તાપમાનની સાથે જ શહેરમાં આગના બનાવોમાં પણ ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે. આજે શહેરના વ્યસ્ત ગણાતા મહિધરપુરા વિસ્તારમાં આવેલી એક જાણીતી આંગડિયા પેઢીમાં એસીના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતા ભીષણ આગ ફાટી નીકળી હતી. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગતા જ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ મળતી માહિતી પ્રમાણે, મહિધરપુરા ખાતે આવેલી SP આંગડિયા પેઢીમાં આજે સામાન્ય દિવસની જેમ કામકાજ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક એસીના કોમ્પ્રેસરમાં ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો અને જોતજોતામાં ઓફિસમાં આગ પ્રસરી ગઈ હતી. આગ લાગતા જ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો ઘટના સમયે ઓફિસમાં બે કર્મચારીઓ હાજર હતા, જેઓ સમયસૂચકતા વાપરીને તુરંત બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો. આગની જાણ થતા જ સુરત ફાયર વિભાગની ટીમો હરકતમાં આવી હતી. ત્રણ અલગ-અલગ ફાયર સ્ટેશનની કુલ 4 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. રૂપિયાનો બચાવ અને નુકસાન આગ એટલી પ્રચંડ હતી કે ઓફિસમાં રહેલું ફર્નિચર, પંખા અને તમામ ઇલેક્ટ્રિક વાયરિંગ બળીને ખાખ થઈ ગયું હતું. જોકે, રાહતની વાત એ રહી કે આંગડિયા પેઢીમાં રાખવામાં આવેલી રોકડ રકમ સળગતા બચી ગઈ હતી. ફાયર વિભાગ અને હાજર લોકોની મદદથી 1.10 લાખની રોકડ સહી-સલામત બહાર કાઢી માલિકને પરત સોંપવામાં આવી હતી. એક જ દિવસમાં 7 આગના બનાવો સુરતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે, જેના કારણે ઇલેક્ટ્રિક ઉપકરણો પર લોડ વધતા શોર્ટ સર્કિટ અને બ્લાસ્ટની ઘટનાઓ વધી છે. આજે વહેલી સવારથી સાંજ પાંચ વાગ્યા સુધીમાં જ સુરત શહેરમાં અલગ-અલગ જગ્યાએ આગના કુલ 7 બનાવો નોંધાયા છે, જે વહીવટી તંત્ર અને નાગરિકો માટે ચિંતાનો વિષય છે. હાલમાં મહિધરપુરાની ઘટનામાં આગ લાગવાનું પ્રાથમિક કારણ એસી બ્લાસ્ટ માનવામાં આવે છે, પરંતુ ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 4:44 pm

ડુંગળીની આડમાં 406 કિલો ગાંજો મહારાષ્ટ્રથી અમદાવાદ લાવ્યા:2 કરોડથી વધુના ગાંજા સાથે બે ઝડપાયા, મેટ્રોએ રિમાન્ડ નકાર્યા ને સેશન્સ કોર્ટે આપ્યા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મહારાષ્ટ્રના બે આરોપીઓ દિપક જાટ અને સતિષ પાવરાની NDPS કેસમાં ધરપકડ કરીને 7 દિવસના રિમાન્ડની માંગ સાથે મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જો કે મેટ્રો કોર્ટે રિમાન્ડ ન આપતા તેઓને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં સેશન્સ કોર્ટે એડવોકેટ દિલીપસિંહ.એમ.ઠાકોરની રજૂઆતોને ધ્યાને લઈને આરોપીઓના 2 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. ડુંગળીની આડમાં 406 કિલો ગાંજા સાથે બે ઝડપાયાકેસને વિગતે જોતા બંને આરોપીઓને પિકઅપ વાનમાં ઝડપી પાડવામાં આવ્યા હતાં. જેમાં પોલીસે ડુંગળીની આડમાં 406 કિલો જેટલો ગાંજો ઝડપી પાડ્યો હતો. જેની કિંમત બે કરોડ રૂપિયાથી વધુ થવા જાય છે. આ ગાંજો તેમને મધ્યપ્રદેશના એક ગામમાંથી શાંતારામ નામના વ્યક્તિ દ્વારા આપવામાં આવ્યો હતો. આરોપીઓ અમદાવાદમાં જથ્થો કોને આપવાના હતા?આરોપીના રિમાન્ડની માંગ કરતા રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપીઓ અમદાવાદમાં જથ્થો કોને આપવાના હતા? આ ગાંજાનું કોણે ઉત્પાદન કર્યું છે? અમદાવાદમાં ગાંજો કોણે મંગાવ્યો હતો? અગાઉ તેઓ આવી કોઈ ડીલેવરી આપવા અમદાવાદમાં આવ્યા હતા કે કેમ? રસ્તામાં તેમને બીજા કોઈએ ગાંજો આપ્યો છે કે કેમ? CCTV ફૂટેજ અને આરોપીઓની કોલ ડીટેલ તપાસવાની છે. 7 દિવસના રિમાન્ડની માંગ ને 2 દિવસના મંજૂરઆરોપીઓએ બીજો ગાંજો ક્યાંક સંતાડ્યો છે કે કેમ ? આરોપીઓને અન્ય કયા સહ આરોપીએ મદદ કરી છે. આરોપીઓનું ગુનાહિત ઇતિહાસ જાણવાનો છે. આ કોમર્શિયલ માત્રાનો ગાંજો છે. ત્યારે આ ગુનામાં કોઈ ક્રાઈમ સિન્ડિકેટ સંકળાયેલી છે કે કેમ ? કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે 7 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. સેશન્સ કોર્ટે આરોપીઓનો 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 4:42 pm

પાટણમાં રાવળદેવ સમાજના પ્રથમ શૈક્ષણિક સંકુલનો શિલાન્યાસ:બાબાભાઈ ભરવાડે ₹1 કરોડનું દાન આપ્યું, ઉત્તર ગુજરાતનું પ્રથમ સંકુલ બનશે

પાટણના સુજનીપુર રોડ પર રાવળ વિકાસ મંચ દ્વારા ઉત્તર ગુજરાતના પ્રથમ શૈક્ષણિક સંકુલનો ભૂમિપૂજન અને શિલાન્યાસ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે અમદાવાદની સદારામ સેવા સમિતિના રાષ્ટ્રીય ચેરમેન બાબાભાઈ ભરવાડે (ભુવાજી) આશરે ₹2.51 કરોડના ખર્ચે નિર્માણ પામનાર આ સંકુલ માટે ₹1 કરોડના દાનની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાતના 500 થી વધુ ગામોમાંથી વિધિવત પૂજન કરેલી ઈંટો લાવવામાં આવી હતી. આ પૂજિત ઈંટોનો ઉપયોગ સંકુલના શિલાન્યાસ માટે કરવામાં આવ્યો હતો. મુખ્ય મહેમાન બાબાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, શિક્ષણ એ સમાજની પ્રગતિની ચાવી છે. રાવળ દેવ સમાજના વિદ્યાર્થીઓ માટે આ સંકુલ મદદરૂપ બનશે. તેમણે શિક્ષણ કાર્યમાં સહયોગ આપવાને મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. આ પ્રસંગે 500 ગામના સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો અને શિક્ષણપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાવળ વિકાસ મંચના પ્રમુખ ડી.કે. રાવળ, પ્રહલાદભાઈ આર. રાવળ અને અન્ય અગ્રણીઓની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ શૈક્ષણિક સંકુલમાં અદ્યતન છાત્રાલય અને લાયબ્રેરીની સુવિધા ઉપલબ્ધ થશે, જે ગ્રામીણ વિદ્યાર્થીઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા પૂરી પાડશે. આ ઉપરાંત, GPSC અને UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે વિશેષ તાલીમ હોલ પણ બનાવવામાં આવશે. સંકુલમાં બહારગામથી આવતા જ્ઞાતિબંધુઓ માટે શિવ વિશ્રામ ગૃહ, તેમજ સામાજિક અને આધ્યાત્મિક પ્રસંગો માટે પ્રાર્થના ખંડ અને ભોજન હોલની વ્યવસ્થા પણ ઊભી કરાશે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 4:41 pm

GF માહીકાના ખભે હાથ મૂકી હાર્દિક અમદાવાદ એરપોર્ટ પરથી રવાના:મનડા બાદ કપલનું કપડાં મેચિંગ, અભિષેક શર્મા પણ ઘરે જવા નીકળ્યો

ટીમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી T-20 વર્લ્ડ કપની ફાઈનલમાં ઇન્ડિયાની જીત બાદ ટીમ ઇન્ડિયાના ક્રિકેટર્સ હવે અમદાવાદ એરપોર્ટ પરથી પરત ફરી રહ્યા છે. દરેક પ્લેયર અલગ અલગ પોતાની રીતે ગાડીમાં એરપોર્ટ સુધી પહોંચ્યા હતા. જેમાં ગઈકાલે સંજુ સેમસન, એમ એસ ધોની જેવા ખેલાડીઓ અમદાવાદ એરપોર્ટ પરથી રવાના થયા હતા. જ્યારે આજે હાર્દિક પંડ્યા તેની ગર્લફ્રેન્ડ માહિકા સાથે અમદાવાદ એરપોર્ટ પરથી રવાના થયો હતો. આ ઉપરાંત અભિષેક શર્મા પણ અમદાવાદ એરપોર્ટ પરથી ઘરે જવા નીકળ્યો હતો. આ દરમિયાન હાર્દિક પંડ્યા અને માહીકા શર્મા હાથમાં હાથ નાંખીને જોવા મળ્યા હતા. તેમજ હાર્દિકે માહીકાના ખભે હાથ રાખ્યો હતો. બન્નેએ વ્હાઇટ ટી-શર્ટનું મેચિંગ પણ કર્યું હતું. 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-ટ્વેન્ટી ની ફાઇનલ મેચ યોજાઇ હતી જેમાં ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે 96 રને જીતી હતી. ટીમ ઇન્ડિયા જીત પહેલા મોટેરા સ્ટેડિયમ ની પાસે આવેલ હનુમાન ટેકરી દાદા ના દર્શન કરવા માટે પહોંચી હતી. જીત બાદ પણ ટ્રોફી લઈને ટીમ ઇન્ડિયા સાથે જય શાહ પણ હનુમાન ટેકરી દાદાના દર્શન ખાતે પહોંચ્યા હતા. વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી ભારતને જીત અપાવનાર સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અત્યારે મેદાન પરની રમત કરતા સોશિયલ મીડિયા પર પોતાની પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં છે. ફાઇનલ મેચ બાદ મેદાનની વચ્ચે માહિકા શર્મા સાથેના વીડિયો વાઇરલ થતા જ નેટિઝન્સે તેને આડેહાથ લીધો હતો. એક તરફ ફેન્સ તેની રમતની પ્રશંસા કરી રહ્યા હતા, ત્યાં જ બીજી તરફ માહિકા સાથે તેનો સ્ટેડિયમમાં રોમાન્સ અને તેની પૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથેના જૂના વીડિયો ફરી વાઇરલ થતાં સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો નવો રાઉન્ડ શરૂ થયો છે. લોકો કહી રહ્યા છે કે હાર્દિકને હંમેશા લાઈમલાઈટમાં અને 'અટેન્શન'માં રહેવાની આદત છે. હાર્દિકનો માહિકા સાથે રોમાન્સમેચ જીત્યા બાદ સ્ટેડિયમમાં બંનેએ જીતનું સેલિબ્રેશન કર્યું હતું. માહિકાએ હાર્દિકને કિસ કરી. કપલ એકબીજાનો હાથ પકડીને સ્ટેડિયમ વચ્ચે ડાન્સ કરતા જોવા મળ્યા. પણ આ શું...દેશી-વિદેશી મીડિયાની હાજરીમાં કપલે કંઈક એવું કર્યું, જેના કારણે તેઓ ટ્રોલ થઈ રહ્યા છે. ઇન્ટરનેટ પર તેમનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં હાર્દિક અને માહિકા ટી20 વર્લ્ડ કપના સ્ટેજ પર જ સૂઈ ગયા. એવોર્ડ ડિસ્ટ્રિબ્યુશન માટે બનેલા પોડિયમ પર જ કપલનો રોમાન્સ શરૂ થઈ ગયો. તેમના આ વીડિયોએ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. વાઇરલ વીડિયોમાં ચારેબાજુ જીતનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે.. બધા પોતાના પરિવાર સાથે ફોટોઝ ક્લિક કરાવી રહ્યા છે. આકાશમાં ફટાકડા ફૂટી રહ્યા છે. પરંતુ હાર્દિક-માહિકા બધાની ચિંતા છોડીને એકબીજામાં વ્યસ્ત દેખાયા. તેઓ સ્ટેડિયમમાં બનેલા પોડિયમ પર રોમેન્ટિક થતા દેખાયા. હાર્દિક અને માહિકા બંને પોડિયમ પર સૂતેલા છે. એકબીજા સાથે વાતો કરવામાં વ્યસ્ત છે. ક્રિકેટર પોતાની લેડીલવના પ્રેમમાં ખોવાયેલા છે. આ પછી તેઓ ઊઠે છે અને વાતોમાં મશગૂલ થઈ જાય છે. ટ્રોલ થયો હાર્દિક પંડ્યાઆ કપલની લવિંગ મોમેન્ટ કેમેરામાં કેદ થઈ જાય છે. પરંતુ આ વીડિયો જોયા પછી લોકોનો ગુસ્સો ભડક્યો છે. યુઝર્સનું કહેવું છે કે કપલે પોતાની લાગણીઓ પર નિયંત્રણ રાખવું જોઈએ. જાહેરમાં આટલું નજીક રહેવું યોગ્ય નથી. યુઝર્સે હાર્દિક અને માહિકાના રોમાન્સને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો છે. તેમને આમ સ્ટેડિયમમાં હદો પાર કરતા જોઈને એક વ્યક્તિએ લખ્યું- આમને બિલકુલ વિરાટ-અનુષ્કા સાથે સરખાવશો નહીં. બીજાએ લખ્યું- આ બધું ઘરે જઈને કરો, મેચ પરિવાર પણ જોઈ રહ્યો છે. કોઈએ લખ્યું - તેમને કેટલું અટેન્શન જોઈએ છે. તેમને ખબર છે કે ઘણા કેમેરા તેમને કેપ્ચર કરી રહ્યા છે. તેમની ઓવરએક્ટિંગ ચાલુ છે. કોઈએ કહ્યું - ભલે તેઓ વિરાટ-અનુષ્કા બનવાની લાખ કોશિશ કરી લે, પણ ક્યારેય બની શકશે નહીં. ઇન્ટરનેટ યુઝર્સે હાર્દિકના વારંવાર પ્રેમમાં પડવાની મજાક પણ ઉડાવી છે. ટ્રોલિંગ વચ્ચે હાર્દિકનો નતાશા સાથેનો વીડિયો પણ વાઇરલ થયો ઇન્ટરનેટ પર હાર્દિકનો તેની ભૂતપૂર્વ પત્ની નતાશા સાથેનો એક વીડિયો પણ વાઇરલ થઈ રહ્યો છે જેમાં તે ક્રિકેટ ગ્રાઉન્ડમાં રોમેન્ટિક થઈ રહ્યો છે. તે નતાશાને કેમેરા સામે કિસ કરી રહ્યો છે. તેને ભેટી રહ્યો છે. આ વીડિયો શેર કરીને યુઝરે કહ્યું કે હાર્દિક ધ્યાન આકર્ષિત કરવા માટે સ્ટેડિયમમાં ક્યારેક ગર્લફ્રેન્ડ તો ક્યારેક પત્ની સાથે રોમેન્ટિક થાય છે. તે જાણી જોઈને આવું કરે છે. યુઝરે ક્રિકેટરની આને સસ્તી યુક્તિઓ ગણાવી. હાર્દિકનો વધુ એક વીડિયો ચર્ચામાં છે જેમાં તે નતાશાના વખાણ કરતા કહે છે કે પત્નીએ તેને સોલ્યુશન શોધતા શીખવ્યું છે. જીવનમાં વધુ હાંસલ કરવાનો જુસ્સો તેને નતાશા પાસેથી મળ્યો છે. તેનાં કારણે જ તે ધૈર્ય રાખતા શીખ્યો છે. આ સમાચાર પણ વાંચો… PHOTOS- VIDEOSમાં જુઓ T20 વર્લ્ડ કપની યાદગાર મોમેન્ટ્સ:અર્શદીપ-મિચેલ મેદાનમાં બાખડ્યા, જીત પછી સુનીલ ગાવસ્કરનો ડાન્સ; PAK ખેલાડી બહાર થવા પર રડ્યો T20 વર્લ્ડ કપ 2026 ઘણી યાદગાર પળો સાથે સમાપ્ત થયો. અમદાવાદના સ્ટેડિયમમાં ભારતે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવી ત્રીજી વખત ખિતાબ પોતાના નામે કર્યો. ચેમ્પિયન બન્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે પિચની માટી પોતાના કપાળ પર લગાવી. વેસ્ટ ઈન્ડિઝ સામે અણનમ 97 રન બનાવ્યા બાદ સંજુ સેમસન ઘૂંટણિયે બેસી ગયો. જ્યારે સુપર-8 સ્ટેજમાંથી બહાર થયા બાદ ઘણા પાકિસ્તાની ખેલાડીઓ રડી પડ્યા. સંપૂર્ણ સમાચાર માટે અહીં ક્લિક કરો…

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 4:37 pm

પશુધનને બચાવવા ખરવા-મોવાસા સામે મેગા રસીકરણ અભિયાનનો પ્રારંભ.:જૂનાગઢના 9 તાલુકામાં ‘કમાન્ડો સ્ટાઈલ’માં રસીકરણ: 168 ટીમો મેદાને, 3.20 લાખ પશુઓને રક્ષિત કરવા તંત્રની ડિજિટલ સ્ટ્રાઈક.

​જૂનાગઢ જિલ્લામાં પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન પશુધનને ગંભીર બીમારીઓથી બચાવવા માટે વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પશુઓમાં પાયમાલી સર્જતા અને દૂધ ઉત્પાદન પર સીધી અસર કરતા અત્યંત ચેપી એવા 'ખરવા-મોવાસા' (Foot and Mouth Disease - FMD) રોગને જડમૂળથી નાથવા માટે જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં એકસાથે રસીકરણની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. આ અભિયાન માત્ર કાગળ પર મર્યાદિત ન રહે તે માટે આ વખતે તંત્રએ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરીને પારદર્શક પદ્ધતિ અપનાવી છે. ​નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ (NADCP) હેઠળ હાથ ધરવામાં આવેલા આ આઠમા રાઉન્ડની શરૂઆત 1 લી માર્ચથી કરવામાં આવી છે, જે આગામી 15 મી એપ્રિલ સુધી સતત દોઢ મહિના સુધી ચાલશે. જિલ્લા પશુપાલન વિભાગના નાયબ નિયામક ડૉ. ડી.ડી. પાનેરાના જણાવ્યા અનુસાર, આ અભિયાનમાં જૂનાગઢ જિલ્લાના અંદાજે 3,20,600 જેટલા ગાય અને ભેંસ વર્ગના પશુઓને આવરી લેવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ કામગીરીને વેગ આપવા માટે સમગ્ર જિલ્લામાં 168 જેટલી નિષ્ણાત ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી છે, જેમાં 150 થી વધુ પશુપાલન વિભાગના કર્મચારીઓ ખડેપગે સેવા આપી રહ્યા છે. ​આ વખતે વહીવટી તંત્રએ રસીકરણની પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ક્ષતિ કે વેઠ ઉતારવાની નીતિ ન ચાલે તે માટે 'ડિજિટલ હથિયાર'નો ઉપયોગ કર્યો છે. દરેક પશુને અપાતી રસીની નોંધણી 'ભારત પશુધન પોર્ટલ' પર રિયલ ટાઈમમાં કરવામાં આવી રહી છે. પશુપાલકોએ રસીકરણ સમયે પોતાનો આધાર નંબર અને મોબાઈલ પર આવતો OTP આપવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે.આ પદ્ધતિને કારણે કામગીરીમાં સો ટકા પારદર્શિતા આવશે અને કયા પશુને રસી મળી છે તેની સચોટ વિગત ઓનલાઈન ઉપલબ્ધ રહેશે, જેનાથી કોઈ પણ પશુ રસી વગર બાકી રહેવાની શક્યતા નહીવત બની જશે. ​સમગ્ર કામગીરીના સુપરવિઝન માટે 8 જેટલા વર્ગ-1 અને વર્ગ-2 કક્ષાના લાઈઝન અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેઓ સીધું મોનિટરિંગ કરી રહ્યા છે. ડેરી સંઘના વેક્સિનેટર્સ હવે સીધા પશુપાલકોના આંગણે જઈને પશુઓને રસી મૂકી રહ્યા છે. ગુજરાત સરકારના પશુપાલન વિભાગ, જૂનાગઢ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયત પ્રમુખના સીધા માર્ગદર્શન હેઠળ આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તંત્રનો કડક આદેશ છે કે એકપણ પશુ આ સુરક્ષા ચક્રમાંથી વંચિત રહેવું જોઈએ નહીં. ​ખરવા-મોવાસા રોગ એ 'એફ્થો વાયરસ' દ્વારા ફેલાતો અત્યંત ગંભીર રોગ છે, જે મુખ્યત્વે બે ફાટવાળી ખરી ધરાવતા પશુઓને અસર કરે છે. આ રોગમાં પશુને તીવ્ર તાવ આવે છે, મોઢામાં અને જીભ પર ચાંદા પડી જાય છે, જેના કારણે પશુ ખોરાક લઈ શકતું નથી. વધુમાં, પશુની ખરીઓ વચ્ચે પણ ચાંદા પડતા તે લંગડાતું થઈ જાય છે. જોકે આ રોગમાં મૃત્યુદર ઓછો છે, પરંતુ તે પશુની ઉત્પાદકતાનો નાશ કરે છે. દૂધાળા પશુઓમાં દૂધ આપવાની ક્ષમતા એકાએક ઘટી જાય છે અને પશુઓમાં વંધ્યત્વ જેવી સમસ્યાઓ સર્જાય છે, જે પશુપાલકને આર્થિક રીતે પાયમાલ કરી દે છે. ભારત સરકારનો લક્ષ્યાંક છે કે વર્ષ 2030 સુધીમાં દેશમાંથી ખરવા-મોવાસા રોગને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે. આ રોગ મુક્ત થવાથી ભારતીય દૂધ અને તેની બનાવટોની આંતરરાષ્ટ્રીય બજારમાં નિકાસ વધશે, જેનો સીધો ફાયદો પશુપાલકોને થશે. આ જ કારણસર રસીકરણને જ શ્રેષ્ઠ ઇલાજ માનવામાં આવે છે. પશુપાલન વિભાગ દ્વારા દર છ મહિને આ રસી વિનામૂલ્યે આપવામાં આવે છે. ડૉ. પાનેરાએ જિલ્લાના તમામ પશુપાલકોને નમ્ર અપીલ કરી છે કે જ્યારે ટીમ ગામમાં આવે ત્યારે પશુઓને રસી અપાવવી અને જો ટીમ ન પહોંચી શકે તો નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરી પશુધનનું રક્ષણ કરવું.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 4:37 pm

કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રક્રિયા શરૂ કરી:અરજી કરવા QR કોડ જાહેર, 50% બેઠક પર યુવાનોને તક; 11થી 20 માર્ચ ઉમેદવારોને સાંભળશે

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. કોંગ્રેસે થોડા સમય પહેલા જ અલગ-અલગ સમિતિઓની પણ જાહેર કરી હતી. જો કે, હવે કોંગ્રેસ આગામી 11 માર્ચથી તાલુકા, જિલ્લા અને મહાનગરમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરશે. 11 માર્ચથી લઈને 20 માર્ચ સુધી ઉમેદવારી કરવા માંગતા લોકોને રૂબરૂ બોલાવીને સાંભળવામાં આવશે. એટલું જ નહીં કોંગ્રેસ દ્વારા QR કોડ મારફતે ઉમેદવારી કરવા માંગતા લોકોની અરજી મંગાવવામાં આવી છે. QR કોડ પણ ગુજરાત કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. સ્થાનિક લેવલે ઉમેદવારોની પસંદગી, પ્રદેશ કક્ષાએથી દખલગીરી ન કરવા નિર્ણય15 મહાનગરપાલિકાની બેઠકો માટે ઉમેદવારો QR કોડ સ્કેન કરીને પણ અરજી કરી શકશે. જે બાદ સ્થાનિક લેવલ પર ઉમેદવારોની સાંભળવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. એટલું જ નહીં આ વખતે સ્થાનિક લેવલ પર જ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે. પ્રદેશ કક્ષાએથી કોઈપણ દખલગીરી ન કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેના આદેશ કોંગ્રેસ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 50 ટકા યુવા ઉમેદવારોને મેદાને ઉતારવાની છે. જે લોકોની ઉંમર 50 કરતા ઓછી હશે તેવા ઉમેદવારોને 50 ટકા બેઠક પર ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવશે. મેયરની જાહેરાત પણ ચૂંટણી પહેલાં કરવાની તૈયારીજો કે, યુવા કોંગ્રેસની માગ હતી કે, 20 ટકા બેઠક પર યુવાનોને ઉમેદવારી કરવાની તક આપવામાં આવે, પરંતુ રાહુલ ગાંધીના આદેશ બાદ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 50 ટકા બેઠક પર 50 વર્ષ કરતા ઓછી ઉંમરના યુવાઓને ઉમેદવાર તરીકે મેદાને ઉતારવામાં આવશે. કોંગ્રેસ દ્વારા આગામી ચૂંટણીમાં 50 ટકા બેઠકો મહિલાઓને ટિકિટ આપવામાં આવશે. તેમજ કોંગ્રેસનું શાસન આવશે તો મેયર કોણ હશે તેની પણ જાહેરાત ચૂંટણી પહેલા કરવાની કોંગ્રેસે તૈયારી દર્શાવી છે. ભાજપના ભ્રષ્ટાચાર સામે પ્રજાને પ્રાથમિક સુવિધાઓ આપવાના સ્લોગન સાથે કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. 15 મહાનગરપાલિકાની 1044 બેઠક પર ચૂંટણીઆખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. SIRની પ્રક્રિયાને કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિલંબ થયો હતો. 15 મહાનગરપાલિકાની 1044 બેઠક, 34 જિલ્લા પંચાયતમાં 1084 બેઠક, 262 તાલુકા પંચાયતમાં 5214 બેઠક, 83 નગરપાલિકાની 2596 બેઠક પર ચૂંટણી યોજાવાની છે. આગામી સમયમાં 10 હજાર જેટલી બેઠક પર ચૂંટણી યોજાવાની છે. જેના માટેની તમામ કક્ષાએ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લા અને તાલુકામાં જઈને લોકો સાથે સંવાદ અને કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. લોકોનો મેનિફેસ્ટો બને તે માટે લોકોના ઘરે જઈને તેમના સૂચનાઓ લેવામાં આવ્યા હતા, જેથી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જનતાના સૂચનોના આધારે મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવશે. ઉમેદવારોને રૂબરૂ બોલાવી સાંભળવામાં આવશેઃ અમિત ચાવડાઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને લઈને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, તમામ જિલ્લા, તાલુકા અને શહેર કક્ષાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોને રૂબરૂ સાંભળવામાં આવશે. તેમજ 11 માર્ચથી 20 માર્ચ સુધી તમામ જગ્યા પર સંભવિત ઉમેદવારોને રૂબરૂ બોલાવીને પેનલ તૈયાર કરવામાં આવશે. આખા ગુજરાતના તમામ મહાનગરો, તાલુકાઓ અને જિલ્લાઓમાં સંભાવિત ઉમેદવારોને રૂબરૂ મુલાકાત કરી એમને સાંભળવામાં આવશે અને પેનલ બનાવવાની કાર્યવાહી કરવામાં આવવાની છે. ‘બોગસ મતદાર યાદીના આધારે જ 20 વર્ષ ચૂંટણીઓ થઈ’ મતદાર યાદીને પ્રક્રિયાને સવાલ કરતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જે રીતે SIRની પ્રક્રિયા થઈ તે પહેલાં જ અમે કહેતા હતા કે, ગુજરાતની મતદાર યાદી શુદ્ધ નથી. એમા મોટા પ્રમાણમાં ગોટાળા છે અને મોટા પ્રમાણમાં વોટ ચોરી થઈ રહી છે. જ્યારે SIRની યાદી બહાર પડી અને સ્પષ્ટ થયું કે, મોટા પ્રમાણમાં વોટ ચોરી આટલા વર્ષોથી ચાલતા હતી. ખોટા, ડુપ્લિકેટ અને બોગસ મતદારોના આધારે ચૂંટણીઓ જીતવામાં આવતી હતી. SIR પછી જે મતદાર યાદી બહાર પાડી છે, તેમાં 70 લાખ જેટલા મતદારો નામ કમી થયા એ જ બતાવે છે કે પાછલા 20 વર્ષમાં ચૂંટણીઓ થઈ તે બોગસ મતદાર યાદીના આધારે જ થતી હતી. ‘ચારેબાજુ ભ્રષ્ટાચાર ચાલે છે, લોકોના ઘરો તોડવામાં આવી રહ્યા છે’વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, પહેલા જ વરસાદમાં રસ્તાઓ ધોવાઈ જાય છે ત્યારે હજુ તો પાણીની ટાંકીનું ટેસ્ટિંગ થતું હોય ત્યારે પાણીની ટાંકી તૂટી પડે છે અને પ્રજાના જે પરસેવાના ટેક્સના પૈસાની લૂટ આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીના શાક્ષકો કરી રહ્યા છે. ત્યારે એવા સંજોગોમાં એક ગુજરાતનો સામાન્ય નાગરિક જે ટેક્સ આપે છે તેની અપેક્ષા હોય કે સારા રસ્તા મળે, શુદ્ધ પીવાનું પાણી મળે, પ્રદૂષણ મુક્ત વાતાવરણ મળે, ત્યાં આગળ ટ્રાફિકની સમસ્યાઓ ના હોય. રેણાંક માટેના ઘર હોય, એને ત્યાં સારું શિક્ષણ સારી આરોગ્યની વ્યવસ્થાઓ હોય. સ્વચ્છતા જળવાતી હોય, વરસાદી પાણીનો નિકાલ થતો હોય.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 4:34 pm

રાજકોટમાં ઉનાળાનાં પ્રારંભે હીટવેવની શક્યતા:મનપા દ્વારા ખાસ આરોગ્યલક્ષી એડવાઈઝરી જાહેર કરાઈ, સૂર્યનાં પ્રકોપથી બચવા બપોરનાં સમયે બહાર નહીં નીકળવા આરોગ્ય અધિકારીની અપીલ

રાજકોટ શહેરમાં ઉનાળાની શરૂઆતે ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે. આગામી દિવસોમાં પારો વધુ ઊંચો જવાની અને હીટવેવની પ્રબળ શક્યતાઓને જોતા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા એક્શન મોડમાં આવી છે. આરોગ્ય અધિકારી દ્વારા એક વિસ્તૃત અખબારી યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં સૂર્યના પ્રકોપથી બચવા લોકોને જરૂરી કામ સિવાય બપોરનાં સમયે બહાર નહીં નીકળવા અપીલ કરવામાં આવી છે. તેમજ સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે શું કરવું અને શું ન કરવું તેની ઝીણવટભરી વિગતો આપવામાં આવી છે. ખાસ કરીને શિશુઓ, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓ માટે આ ગરમી જીવલેણ સાબિત ન થાય તે માટે તંત્ર દ્વારા વિશેષ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. હાઇડ્રેશન અને આહાર પર વિશેષ ભારઆરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીનાં જણાવ્યા મુજબ, ગરમીમાં શરીરનું તાપમાન જાળવી રાખવા માટે સતત હાઇડ્રેટેડ રહેવું અનિવાર્ય છે. તરસ ન લાગી હોય તો પણ સમયાંતરે પાણી પીતા રહેવું જોઈએ. મુસાફરી દરમિયાન પાણીની બોટલ સાથે રાખવી હિતાવહ છે. ઘરે બનાવેલા કુદરતી પીણાં જેવા કે લીંબુ પાણી, છાસ, લસ્સી અને ORS (ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન) નો મહત્તમ ઉપયોગ કરવો જરૂરી છે. આહારમાં પાણીનું પ્રમાણ વધુ હોય તેવા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી, નારંગી, દ્રાક્ષ અને અનાનસ તેમજ કાકડી જેવા શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ. જોકે, ઉચ્ચ પ્રોટીનયુક્ત અને વાસી ખોરાક ખાવાનું ટાળવું જોઈએ કારણ કે તે પાચનમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. પહેરવેશ અને જીવનશૈલીમાં ફેરફારડો. વાંકાણીનાં જણાવ્યા મુજબ ભારે ગરમીમાં શરીરને ઠંડુ રાખવા માટે હળવા રંગના, સુતરાઉ અને ઢીલા વસ્ત્રો પહેરવાની જોઈએ. બહાર નીકળતી વખતે માથું ઢાંકેલું રાખવા માટે છત્રી, ટોપી કે ટુવાલનો ઉપયોગ કરવો અને પગમાં ચંપલ કે બૂટ પહેરવા જરૂરી છે. બપોરે 12:00 થી 03:00 ના સમયગાળા દરમિયાન, જ્યારે સૂર્યનો પ્રકોપ સૌથી વધુ હોય છે, ત્યારે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. ઘરની બારીઓ અને પડદા દિવસ દરમિયાન બંધ રાખીને ઘરને ઠંડુ રાખવાનો પ્રયાસ કરવો અને રાત્રિના સમયે હવાની અવરજવર માટે બારીઓ ખુલ્લી રાખવી જોઈએ. જોખમી જૂથો અને સાવચેતીવધુમાં તેમણે જણાવ્યું કે, હીટવેવ અમુક વર્ગો માટે વધુ જોખમી સાબિત થઈ શકે છે. જેમાં શિશુઓ, નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, માનસિક કે શારીરિક બીમારી (ખાસ કરીને હૃદય રોગ કે હાઈ બ્લડ પ્રેશર) ધરાવતી વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જે લોકો બહાર મજૂરી કામ કરે છે અથવા ઠંડા વાતાવરણમાંથી અચાનક ગરમ વાતાવરણમાં આવે છે તેમને ખાસ સાવચેતી રાખવી જોઈએ. તો એકલા રહેતા વૃદ્ધોના સ્વાસ્થ્યનું દૈનિક નિરીક્ષણ કરવું પણ જરૂરી છે. પાર્ક કરેલા વાહનોમાં ક્યારેય બાળકો કે પાલતુ પ્રાણીઓને એકલા છોડવા નહીં, કારણ કે બંધ વાહનનું તાપમાન ખૂબ જ ઝડપથી વધી શકે છે જે જીવલેણ બની શકે છે. રોજગારદાતાઓ અને કામદારો માટે સૂચનાઓજે એકમોમાં કામદારો ખુલ્લામાં કે ગરમીમાં કામ કરે છે, ત્યાં રોજગારદાતાઓએ પીવાના પાણીની વ્યવસ્થા કરવી અને દર 20 મિનિટે પાણી પીવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. કાર્યસ્થળ પર શેડ કે આશ્રયસ્થાનની વ્યવસ્થા કરવી અને સખત પરિશ્રમ વાળા કામો વહેલી સવાર કે મોડી સાંજ સુધી મર્યાદિત રાખવા જોઈએ. દર 1 કલાકના સખત કામ પછી 5 મિનિટનો આરામ આપવો આવશ્યક છે. તેમજ કાર્યસ્થળ પર ફર્સ્ટ એઇડ કીટ અને ઇમરજન્સી પ્લાન તૈયાર રાખવા અને કોઈ કામદારોમાં હીટસ્ટ્રોકના લક્ષણો ઓળખવા માટે જાગૃતિ લાવવા પ્રયાસ કરવા જોઈએ. ઇમરજન્સી સારવારઅંતમાં તેમણે જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ ગરમીના કારણે અસ્વસ્થ જણાય, તો જરાપણ વિલંબ કર્યા વિના તેને તાત્કાલિક ઠંડી જગ્યાએ ખસેડવી, તેના કપડાં પર ઠંડુ પાણી છાંટવું અને પવન નાખવો. સ્થિતિ ગંભીર જણાય તો વિલંબ કર્યા વગર નજીકના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો. કોઈપણ કટોકટીની સ્થિતિમાં 108 એમ્બ્યુલન્સ સેવાનો સંપર્ક કરવા પણ રાજકોટ મહાનગરપાલિકાનાં આરોગ્ય અધિકારી દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 4:29 pm

મહિલા દિવસની અનોખી ઉજવણી:પૂજા ઉમિયા માતાજી મહિલા સંગઠને ફિલ્મ જોઈને મનાવ્યો

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પૂજા ઉમિયા માતાજી મહિલા સંગઠન અને મેમનગર સિનિયર સિટીઝનની બહેનોએ એક અનોખી રીતે ઉજવણી કરી. આ બહેનોએ 'બેહદ' ફિલ્મ જોઈને આ દિવસની ઉજવણી કરી હતી. આ ફિલ્મના સ્પોન્સર ઊંઝા ઉમિયા માતાજી મહિલા સંગઠનના પ્રમુખ જાગૃતિબેન પટેલ હતા. તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક સામાજિક સેવાઓ સાથે સંકળાયેલા છે અને 'મા દીકરી સંમેલન' જેવા કાર્યક્રમો પણ યોજે છે. તેમણે પોતાની સાથે કામ કરતી તમામ મહિલાઓને આ ફિલ્મ જોવા માટે ખાસ લાભ આપ્યો હતો. આ કાર્યક્રમમાં હેત હેલ્પીંગ હેન્ડ ટ્રસ્ટના હેતલબેન વિશેષ આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહ્યા હતા. ભાવનાબેને તેમનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત અન્ય ઉપસ્થિત બહેનોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રકારે ફિલ્મ જોઈને મહિલા દિવસની ઉજવણી કરવાનો અનુભવ સૌ માટે આનંદદાયક અને યાદગાર રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 4:26 pm

કલોલ કોર્ટેનો ઐતિહાસિક ચુકાદો:યુવતીના અશ્લીલ ફોટા-વીડિયો વાઈરલ કરનાર આરોપીને 5 વર્ષની કેદ, કોર્ટે પીડિતાને 1 લાખનું વળતર અપાવ્યું

સોશિયલ મીડિયાના માધ્યમથી કલોલની યુવતીનો સંપર્ક કરી તેને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેના અશ્લીલ ફોટા અને વીડિયો સંબંધીઓમાં વાઇરલ કરી બદનામ કરનાર શખ્સને કલોલના એડિશનલ સેસન્સ જજ ડી.વી. શાહે પાંચ વર્ષની સખત કેદ અને 50 હજારનો દંડ ફટકારી પીડિતાને એક લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો છે.આરોપીએ યુવતીને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યોઆ કેસની વિગતો મુજબ, મૂળ ધોળકાના સાથળ ગામના અને હાલમાં ધોળકાની રાજધાની સોસાયટીમાં રહેતા 34 વર્ષીય હિરેન ઉર્ફે જીગો મનુભાઈ પટેલે ફરિયાદી યુવતીને સોશિયલ મીડિયા દ્વારા પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં ગત 15 જુલાઈ 2023ના રોજ આરોપી યુવતીને અમદાવાદની રાધાનંદ ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો અને તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ તાબે થવાની ના પાડતા અશ્લીલ ફોટા વાઈરલ કર્યાઆ ઘટના બાદ યુવતીએ આરોપી સાથે વાતચીત કરવાનું બંધ કરી દેતા આરોપીએ અવારનવાર ફોન કરી ગાળો ભાંડી હતી અને યુવતીના માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી આતંક મચાવ્યો હતો. બાદમાં આરોપીએ વ્હોટ્સએપ વીડિયો કોલ દરમિયાન યુવતીના નિર્વસ્ત્ર ફોટા મંગાવ્યા હતા અને તેની જાણ બહાર અશ્લીલ વીડિયો તથા સ્ક્રીનશોટ બનાવી લીધા હતા. જ્યારે યુવતીએ તાબે થવાનો ઇનકાર કર્યો ત્યારે આરોપીએ આ અશ્લીલ સામગ્રી તેના સગા-સંબંધીઓમાં વાઇરલ કરી દીધી હતી. આ મામલે કલોલ શહેર પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી. કોર્ટે આરોપીને ગુનેગાર ઠેરવી 5 વર્ષની સખત કેદની સજા ફટકારીઆ કેસ કલોલની એડિશનલ સેસન્સ કોર્ટમાં ચાલવા ઉપર આવતા સરકારી વકીલ જે.એચ.જોષીની ધારદાર રજૂઆતો અને પુરાવાઓને ધ્યાને લેવામાં આવ્યા હતા. સમગ્ર કેસની સુનાવણી બાદ કોર્ટે આરોપીને ઈપીકો કલમ 376 ગુનામાં શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવ્યો હતો, પરંતુ આઈટી એક્ટ-2000ની કલમ-67(એ) મુજબના ગુનામાં તકસીરવાન ઠેરવી પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 4:25 pm

પાનના ગલ્લાની આડમાં ગાંજો વેચતો શખ્સ ઝડપાયો:પ્રભુનગરમાંથી 6.56 લાખથી વધુની રોકડ ને મુદ્દામાલ જપ્ત, યુવાધનને નશાના રવાડે ચઢાવતા દીપકસિંહ રાજપુતની ધરપકડ

સુરત ઉધના પોલીસની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે દરોડો પાડીને એક ઇસમને ગાંજાના જથ્થા અને લાખોની રોકડ રકમ સાથે દબોચી લીધો છે. ચોંકાવનારી વાત એ છે કે આરોપી પાન અને બીડીના ગલ્લાની આડમાં આ નશાનું નેટવર્ક ચલાવી રહ્યો હતો. પ્રભુનગરમાં પાનના ગલ્લાની આડમાં ચાલતું હતું નશાનું નેટવર્કસુરત શહેરમાં માદક દ્રવ્યોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ સતત પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ઉધના પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે પ્રભુનગર વિસ્તારમાં એક વ્યક્તિ ગાંજાના છૂટક વેચાણ સાથે સંકળાયેલો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક પ્રભુનગર પ્લોટ નંબર 192 ખાતે વોચ ગોઠવીને દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસને સ્થળ પરથી નશાનો સામાન અને મોટી માત્રામાં રોકડ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. નશાના બંધાણીઓને ચૂપકેથી ગાંજો સપ્લાય કરતોપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપી પોતાની રોજગારીના નામે પાન-બીડીનો ગલ્લો ચલાવતો હતો. સામાન્ય ગ્રાહકોની ભીડ વચ્ચે તે નશાના બંધાણીઓને ચૂપકેથી ગાંજો સપ્લાય કરતો હતો. રહેણાંક વિસ્તારમાં પાનના ગલ્લાની આડમાં ચાલતા આ ગોરખધંધાને કારણે સ્થાનિક યુવાધન નશાના રવાડે ચઢી રહ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે આરોપી પાસેથી 148 ગ્રામ ગાંજો કબજે કર્યો છે, જેની બજાર કિંમત આશરે 1400 રૂપિયા જેટલી થાય છે. 6.56 લાખથી વધુની રોકડ ને મુદ્દામાલ જપ્તદરોડા દરમિયાન માત્ર નશીલો પદાર્થ જ નહીં, પરંતુ મોટા પ્રમાણમાં રોકડ રકમ પણ મળી આવી છે. પોલીસે સ્થળ પરથી કુલ 6,56,350 રૂપિયાની રોકડ જપ્ત કરી છે. માનવામાં આવી રહ્યું છે કે આ રકમ ગાંજાના વેચાણ દ્વારા જ એકઠી કરવામાં આવી હતી. આ ઉપરાંત, રૂ. 7000ની કિંમતનો 1 મોબાઈલ ફોન પણ જપ્ત કરાયો છે. આમ, પોલીસે કુલ 6,73,750 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી છે. NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ, મૂળ ઉત્તર પ્રદેશનો છે આરોપીઝડપાયેલા આરોપીની ઓળખ 41 વર્ષીય દીપકસિંહ ફોજદારસિંહ રાજપુત તરીકે થઈ છે, જે મૂળ ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાનો વતની છે અને હાલ ઉધનાના પ્રભુનગરમાં રહી વેપાર કરતો હતો. ઉધના પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8(c), 20(b)(ii)(A), 29 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપી આ જથ્થો ક્યાંથી લાવતો હતો અને તેની સાથે અન્ય કેટલા શખ્સો સંકળાયેલા છે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 4:24 pm

ગીરસોમનાથમાં માર્ચમાં જ 41 ડિગ્રી તાપમાન:હીટવેવની આગાહી, હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું

ગીર સોમનાથ જિલ્લામાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છે. હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં હીટવેવની સંભાવનાને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતા દર્શાવે છે. છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તાપમાનમાં સતત વધારો નોંધાયો છે. તાલાલા અને ગીર ગઢડા વિસ્તારમાં મહત્તમ 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. જ્યારે કોડીનાર અને ઉના તાલુકામાં 37 ડિગ્રી સેલ્સિયસ અને વેરાવળમાં 36 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. માર્ચ મહિનામાં જ આટલું ઊંચું તાપમાન નોંધાતા હવામાન નિષ્ણાતો આ વર્ષે ઉનાળો સામાન્ય કરતાં વધુ તીવ્ર રહેવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. ગરમીના વધતા પ્રભાવને કારણે બપોરના સમયે શહેરો અને ગામડાંઓમાં રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા. લોકો ગરમીથી બચવા માટે ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે. સામાન્ય દિવસોમાં વ્યસ્ત રહેતા બજારો અને જાહેર સ્થળોએ પણ બપોરના સમયે ભીડ ઓછી જોવા મળી રહી છે. બીજી તરફ, ઠંડા પીણાં, છાશ, ગોળી સોડા અને આઈસક્રીમની દુકાનો પર ગ્રાહકોની અવરજવર વધી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં પણ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. લોકોને બપોરના સમયમાં બહાર નીકળતી વખતે સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. વધુ પાણી પીવું, સીધા સૂર્યપ્રકાશથી બચવા માટે ટોપી કે છત્રીનો ઉપયોગ કરવો અને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જરૂરી છે. આરોગ્ય નિષ્ણાતો પણ ગરમીને ધ્યાનમાં રાખીને ખાસ સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને ખુલ્લા મેદાનમાં કામ કરતા મજૂરોને બપોરના તીવ્ર તાપમાં બહાર કામ ન કરવાની સૂચના આપવામાં આવી છે. માર્ચના પ્રારંભમાં જ આટલી ગરમીનો અનુભવ થતાં, ગીર સોમનાથ જિલ્લામાં લોકો આગામી મહિનાઓમાં ઉનાળો કેવો રહેશે તેની ચર્ચા કરી રહ્યા છે. જો આગામી દિવસોમાં પણ તાપમાનમાં આ જ રીતે વધારો ચાલુ રહેશે, તો એપ્રિલ અને મે મહિનામાં ગરમી વધુ તીવ્ર બની શકે છે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 4:17 pm

પાટણ ખાતે 11 માર્ચે રોજગાર ભરતી મેળો યોજાશે:હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં 10/12 પાસ, ITI, ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે આયોજન

પાટણ જિલ્લાના યુવક-યુવતીઓને રોજગારીની તક પૂરી પાડવા માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાટણ દ્વારા ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓની સહભાગિતામાં રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું છે. આ ભરતી મેળો બુધવાર, 11 માર્ચ, 2026 ના રોજ સવારે 10:00 કલાકે યોજાશે. તેનું સ્થળ એચ.એન.જી. યુનિવર્સિટી કેમ્પસ, પાટણ ખાતે યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, પ્રથમ માળ, સુવિધા ભવન રહેશે. આ મેળામાં BSS Sonata Microcredit Ltd. (Kotak Mahindra Bank), અમદાવાદ અને Lifesurge Healthcare Pvt. Ltd., પાટણ જેવી ખાનગી સંસ્થાઓ ભાગ લેશે. તેઓ ફિલ્ડ ઓફિસર, બેંક ઓફિસ વર્ક, મશીન ઓપરેટિંગ અને ટેક્નિશિયન સહિતની વિવિધ જગ્યાઓ માટે સ્થળ પર જ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરશે. આ ભરતી મેળામાં 18થી 35 વર્ષની વયમર્યાદાના ઉમેદવારો ભાગ લઈ શકશે. ધોરણ 10/12 પાસ, ITI (તમામ ટ્રેડ) અને ગ્રેજ્યુએશનની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. રસ ધરાવતા ઉમેદવારોએ પોતાના ખર્ચે ઇન્ટરવ્યુમાં હાજર રહેવું પડશે. તેઓએ તમામ શૈક્ષણિક પ્રમાણપત્રોની નકલ, બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અને 3 થી 4 બાયોડેટાની નકલો સાથે લાવવી ફરજિયાત છે. નોંધનીય છે કે, રોજગાર કચેરીમાં નામ નોંધણી ન કરાવેલ ઉમેદવારો પણ આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે. વધુ માહિતી માટે ઉમેદવારો www.anubandham.gujarat.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે, તેમ પાટણના રોજગાર અધિકારીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 4:17 pm

ભરૂચમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી:વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓ સન્માનિત

ભરૂચના આત્મીય સંસ્કારધામ હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આરતી પટેલ અને IAS નેહા બ્યાડવાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરાયો હતો. દહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતેશ વસાવાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોને મીલેટ્સ કીટ આપી સન્માનિત કરાયા હતા. IAS નેહા બ્યાડવાલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, 8 માર્ચે ઉજવાતો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને સમાજના ઉત્થાન માટે પ્રેરિત કરવાનો મહત્વનો દિવસ છે. તેમણે ઉમેર્યું કે, રાષ્ટ્રના વિકાસમાં મહિલાઓ વિવિધ ક્ષેત્રોમાં દ્રઢ મનોબળ સાથે આગળ વધી રહી છે. આ પ્રસંગે મહિલા કલ્યાણની વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય અને મંજૂરી હુકમો એનાયત કરાયા હતા. જેમાં 11 દીકરીઓને 'વ્હાલી દીકરી યોજના'ના મંજૂરી હુકમ, 5 મહિલાઓને વિધવા સહાય અને 2 મહિલાઓને પુનઃલગ્ન સહાય મંજૂર કરવામાં આવી હતી. જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓનું પણ સન્માન કરાયું હતું. ભરૂચ સિટી ટ્રાફિક સ્કવોડના મહિલા પોલીસ અધિકારી, સ્વ-સહાય જૂથ અને ગ્રામ પંચાયત નેતૃત્વ માટે રશીલા સુનીલભાઈ વસાવા તેમજ આર્થિક પ્રવૃત્તિ અને સ્વ-સહાય જૂથમાં શ્રેષ્ઠ કામગીરી માટે વૈશાલી મેહુલકુમાર પટેલને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, રાઈફલ શૂટિંગ, વેઈટલિફ્ટિંગ અને સાઈલિંગ જેવી રમતગમત પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર દીકરીઓને પણ બિરદાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીએ આભારવિધિ વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં સંબંધિત અધિકારીઓ, કર્મચારીઓ, પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ અને દીકરીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 4:09 pm

એલોવેરા પાવડરના બહાને 'સ્પેસ ઓઈલ'નો કાળો કારોબાર:ગુજરાત ATSએ સુરતથી વધુ બે આરોપીઓની ધરપકડ કરી; 100 કિલો ડ્રગ્સ થાઇલેન્ડ, મલેશિયા સહિતના દેશોમાં મોકલ્યાનો ખુલાસો

ગુજરાત ATSએ વિદેશમાં પ્રતિબંધિત એટોમેડિટ ડ્રગ્સ જેને સ્પેસ ઓઇલ તરીકે પણ ઓળખવામાં આવે છે તેનો જથ્થો ભારતથી ખોટું લેબલ લગાવીને મોકલનાર બીજા બે આરોપીની ધરપકડ કરી છે. અગાઉ ATSએ આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી હતી. ત્રણેય આરોપીઓ પોતાની ફાર્મા કંપનીના નામે એલોવેરા પાવડરના લેબલ લગાવીને પ્રતિબંધિત ડ્રગ્સ વિદેશમાં મોકલતા હતા. ચેતન વાવડીયા અને ભૌતિક પદમણી નામના આરોપીઓના પણ નામ ખુલ્યાગુજરાત ATSને બાતમી મળી હતી કે, મુંબઈ એરપોર્ટથી ઓટોમેટીક પાવડરનો જથ્થો થાઈલેન્ડ, મલેશિયા, સિંગાપુર સહિતના દેશોમાં ખોટા બિલ અને ખોટા કસ્ટમ ક્લિયરન્સના કાગળો બનાવીને એલોવેરા પાવડર નામથી ખોટું લેબલ લગાવીને એક્સપોર્ટ કરવામાં આવે છે. જેથી ATSએ ગુનો નોંધી નિકુંજ ગઢિયા નામના એક આરોપીની સુરતથી ધરપકડ કરી હતી. જે બાદ તપાસમાં ચેતન વાવડીયા અને ભૌતિક પદમણી નામના આરોપીઓના પણ નામ ખુલ્યા હતા. મુંબઈમાં તપાસ કરતા એરપોર્ટ પરથી 22 કિલો જથ્થો મળી આવ્યોATSએ સુરતથી ચેતન અને ભૌતિકની પણ ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન આ ત્રણેય આરોપીઓ પોતપોતાની અલગ અલગ ફાર્મા કંપનીના આધારે ઓટોમેટીક ડ્રગ્સ ખરીદતા હતા અને તેને ખોટું લેબલ લગાવીને અલગ અલગ દેશોમાં સપ્લાય પણ કરતા હતા. અત્યાર સુધી આરોપીઓએ 100 કિલોથી વધુ સપ્લાય પણ કર્યું છે. ત્રણેયની હાલ ધરપકડ કરવામાં આવી છે. ATSની ટીમે મુંબઈમાં તપાસ કરતા એરપોર્ટ પરથી 22 કિલો જથ્થો પણ મળી આવ્યો છે. વધુ પડતા સેવનના કારણે વ્યક્તિનું મોત પણ થઈ શકેએટોમેડિટ ભારતમાં હાલ પ્રતિબંધિત નથી, કારણ કે મેડિકલમાં એનેથેસિયામાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ થાઈલેન્ડ, મલેશિયા, સિંગાપુર સહિતના દેશોમાં આ પ્રતિબંધિત ડ્રગ્સ છે. આ ડ્રગ્ નો ઉપયોગ ત્યાં લોકો નશો કરવા માટે કરે છે. એટોમેટીટને વિદેશમાં સ્પેસ ઓઇલના નામથી પણ ઓળખાય છે. કારણકે એકવાર તેનો નશો કર્યા બાદ ઉડવાની ફીલિંગ લોકો લેતા હોય છે. વધુ પડતા સેવનના કારણે વ્યક્તિનું મોત પણ થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 4:07 pm

10 વર્ષથી નાસતો ફરતો રીઢો આરોપી ઝડપાયો.:​અમદાવાદ અને સુરતના ગુનાઓમાં 10 વર્ષથી વોન્ટેડ આરોપીને માંગરોળમાંથી દબોચી લેતી એસ.ઓ.જી. ટીમ

​જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા અને લાંબા સમયથી પોલીસને થાપ આપીને નાસતા ફરતા ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવા માટે પોલીસ દ્વારા એક વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ વડાની સ્પષ્ટ સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે એસ.ઓ.જી. કામગીરી હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢ એસ.ઓ.જી.ના પીઆઇ આર.કે. પરમાર અને તેમની ટીમ દ્વારા ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સુમેળ સાધીને ગુનેગારો પર વોચ રાખવામાં આવી રહી છે, જેના પરિણામ સ્વરૂપે પોલીસને એક મોટી સફળતા મળી છે. ​અમદાવાદ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં વર્ષ 2015માં નોંધાયેલા જુગારધારા કલમ 4 અને 5 મુજબના ગંભીર ગુનામાં છેલ્લા 10 વર્ષથી એક શખ્સ પોલીસની ધરપકડથી બચવા માટે સતત નાસતો ફરતો હતો. આ આરોપીને પકડવા માટે એસ.ઓ.જી.ની ટીમના એ.એસ.આઈ. કરશનભાઈ મોઢા અને વિક્રમભાઈ ચાવડાને ચોક્કસ બાતમી મળી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્ક દ્વારા પોલીસને હકીકત મળી હતી કે અમદાવાદ અને સુરતના વિવિધ પોલીસ સ્ટેશનના ગુનાઓમાં વોન્ટેડ આરોપી મુકેશ ઉર્ફે એમ.ડી. ઉર્ફે મુકેશ મોર્ડન કેવલરામ કપુર હાલ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે છુપાયેલો છે. ​બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમ દ્વારા માંગરોળના કાજી ફળીયા વિસ્તારમાં આવેલા સીટી સેન્ટર એપાર્ટમેન્ટના બ્લોક નંબર 304 માં ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો. આ સર્ચ ઓપરેશન દરમિયાન 48 વર્ષીય મુકેશ ઉર્ફે એમ.ડી. પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપી માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સુરતના અડાજણ પોલીસ સ્ટેશનના ગુનામાં પણ છેલ્લા એક દાયકાથી પોલીસને હાથતાળી આપી રહ્યો હતો. આરોપીની અટકાયત કર્યા બાદ તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે માંગરોળ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. ​આરોપી મુકેશ ઉર્ફે એમ.ડી.નો ગુનાહિત ઇતિહાસ તપાસતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. આ આરોપી વિરુદ્ધ અગાઉ માંગરોળ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અને જુગારધારાના પાંચ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત માંગરોળ મરીન પોલીસ સ્ટેશન અને કચ્છના આદિપુર પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે. આમ, કુલ આઠ જેટલા વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા આ રીઢા ગુનેગારને પકડી પાડીને જૂનાગઢ પોલીસે ગુનાખોરીના નેટવર્ક પર પ્રહાર કર્યો છે. ​આ સમગ્ર સફળ ઓપરેશનમાં એસ.ઓ.જી.ના પીઆઈ આર.કે. પરમારની સાથે એ.એસ.આઈ. કરશનભાઈ મોઢા, વિક્રમભાઈ ચાવડા, ઇરફાનભાઈ રૂમી, પોલીસ હેડ કોન્સ્ટેબલ મેણસીભાઈ અગેડ, રોહિતભાઈ ધાધલ અને ડ્રાઈવર પોલીસ હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ બકોત્રા સહિતના સ્ટાફે રાત-દિવસ મહેનત કરીને આરોપીને ઝડપી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 4:04 pm

'આયોગ આપને દ્વાર' અભિગમ સાથે રાજ્યભરમાં મહિલા મહા જનસુનાવણી:રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રાહટકરની હાજરીમાં 15 કેસોમાંથી 12 કેસોનો સફળતાપૂર્વક નિકાલ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રાહટકરના અધ્યક્ષ સ્થાને વડોદરાના સર્કિટ હાઉસના કોન્ફરન્સ હોલ ખાતે 'મહિલા મહા જનસુનાવણી’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા કમિશનર અને રૂરલ વિસ્તારના 15 કેસોને સાંભળવામાં આવ્યા હતા. જેમાંથી 12 કેસોનો સફળતા પૂર્વક નિકાલ અને 2 કેસો આગળની કાર્યવાહી માટે મોકલવામાં આવ્યા છે. રાજ્યભરમાં મહિલા મહા જનસુનાવણી યોજીઅધ્યક્ષ સ્થાનેથી વિજયા રાહટકરએ જણાવ્યું હતું કે, દેશભરમાંથી મહિલાઓ તરફથી લાખો ફરિયાદો આયોગમાં નોંધાઈ રહી છે અને ક્યારેક કેસોમાં ન્યાય આપવામાં વિલંબ થઇ જાય છે. ઘણી મહિલાઓ સીધી રીતે આયોગ સુધી પહોંચી શકતી નથી, તેથી આયોગ મહિલાઓ સુધી જાતે પહોંચે તે હેતુથી 'આયોગ આપને દ્વાર' અભિગમ સાથે દરેક જિલ્લામાં મહિલા મહા જનસુનાવણી યોજી રહ્યા છે. એક વર્ષમાં 100 જનસુનાવણીઓ યોજાઈતેમણે વધુમાં ઉમેર્યું કે, છેલ્લા એક વર્ષમાં આશરે 100 જેટલી જનસુનાવણીઓ યોજાઈ ચૂકી છે અને આ અઠવાડિયામાં અંદાજે 500 સુનાવણીઓ વિવિધ જિલ્લાઓમાં પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં 139 કેસો નોંધાયા હતા, જેમાંથી હાલ 91 કેસો પેન્ડિગ છે જેના ઉપર આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે સ્થાનિક તંત્ર દ્વારા સુનાવણીનું સુદ્રઢ આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. અધિકારીઓ દ્વારા મહિલાઓને માર્ગદર્શન પુરુ પડ્યુંઆ સુનાવણીમાં અધ્યક્ષએ મહિલાઓ દ્વારા કરેલી ફરિયાદોની સુનાવણી કરવાની સાથે સાથે ગંભીર કેસોની નોંધણી, કાનૂની માર્ગદર્શન અને લગણીસભર પ્રક્રિયાત્મક સહાય સુનિશ્ચિત કરી કરી હતી. સાથે ઉપસ્થિત પોલીસ વિભાગ, વકીલશ્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા મહિલાઓને જરૂરી માર્ગદર્શન પુરુ પડ્યું હતું. મહિલાઓને ફરિયાદો રજૂ કરવા અને સહાય મેળવવા માટે એક મંચઆ જનસુનાવણીનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને પોતાની ફરિયાદો રજૂ કરવા તથા સંસ્થાકીય સહાય મેળવવા માટે એક સીધું અને સરળ મંચ ઉપલબ્ધ કરાવવાનો છે. આ સંકલિત પ્રયત્ન હેઠળ ઘરેલું હિંસા, કાર્યસ્થળે જાતીય સતામણી, માતૃત્વ લાભ, પરિત્યાગ, માનવ તસ્કરી (ટ્રાફિકિંગ) તેમજ અન્ય જાતિ આધારિત અન્યાય અને હિંસા સંબંધિત ફરિયાદો સાંભળવા અને તેના પર યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આ જનસુનાવણીમાં મહિલા આયોગ સમિતિના સભ્યો, સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, કાનૂની નિષ્ણાતો તથા પ્રોટેક્શન ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 4:01 pm

‘ટ્રમ્પ, આ બાળકોની આંખોમાં જુઓ...’ મિનાબની સ્કૂલ પરના હુમલા મુદ્દે તહેરાન ટાઈમ્સનો આક્રોશ

Middle East War: ઈરાનના દક્ષિણ શહેર મિનાબમાં અમેરિકા દ્વારા કરાયેલા કથિત મિસાઈલ હુમલાએ સમગ્ર વિશ્વમાં ચર્ચા જગાવી છે. આ હુમલામાં પ્રાઈમરી સ્કૂલમાં અભ્યાસ કરતા 150થી 165 જેટલા બાળકોના કરુણ મોત નિપજ્યાના અહેવાલ છે. ઈરાનના અખબાર 'તહેરાન ટાઈમ્સ'એ આ ઘટનાના વિરોધમાં ફ્રન્ટ પેજ પર મૃતક બાળકોની તસવીરો છાપી છે, જેનું શીર્ષક છે- ‘ટ્રમ્પ, આ બાળકોની આંખોમાં જુઓ.’ આ ફોટો સાથેના અહેવાલમાં તહેરાન ટાઈમ્સે અમેરિકાની આકરી ટીકા કરી છે.

ગુજરાત સમાચાર 10 Mar 2026 4:00 pm

BCG ચૂંટણીની મતગણતરી શરૂ:ગુજરાત હાઇકોર્ટ ઓડિટોરિયમ ખાતે 10 દિવસ મત ગણતરી ચાલે તેવી શક્યતા, પહેલા હોદ્દેદારોનું પરિણામ આવશે

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં આજથી મત ગણતરી શરૂ થઈ છે. ઇલેક્શનના દિવસે રાત્રે હોબાળા બાદ મતગણતરી ગઈકાલે શરૂ થઈ શકી નહોતી. જો કે ચૂંટણી અધિકારીની ફરિયાદ ઉપર બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ચૂંટણી અધિકારીની કાર્યવાહીમાં વિક્ષેપ ઉભો કરનારા 14 વકીલોને શૉ કોઝ નોટિસ કાઢી છે. 76 હજારથી વધુ અને અમદાવાદમાંથી 18 હજારથી વધુ વકીલો મતદાતાઉલ્લેખનીય છે કે, આ ચૂંટણીમાં 99 એડવોકેટ ઉમેદવાર તરીકે ઊભા હતા. જ્યારે રાજ્યમાંથી 76 હજારથી વધુ અને અમદાવાદમાંથી 18 હજારથી વધુ વકીલો મતદાતા હતા. જેની મત ગણતરી આજથી શરૂ થઈ છે. CCTV અંતર્ગત બેલેટ બોક્સ ઓપન કરાઈ રહ્યા છે. એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ શાંતિપૂર્વક મતગણતરીની આશા વ્યક્ત કરી છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને પત્ર લખીને મત ગણતરી શરૂ કરવાની માગચૂંટણીના દિવસે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલા અટલ કલામ મતદાન સેન્ટર ખાતે વકીલોએ હોબાળો બચાવ્યો હતો. જે સંદર્ભે ચીફ રિટર્નિંગ ઓફિસર સહિત જોઈન્ટિંગ રીટર્નિંગ ઓફિસરોએ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને પત્ર લખ્યો છે. તો ઉમેદવાર વકીલોએ પણ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને પત્ર લખીને મત ગણતરી શરૂ કરવાની માગ કરી હતી.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 3:56 pm

કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે ‘સેન્સ’ પ્રક્રિયા હાથ ધરાઈ:શાસકોને અહંકાર છે કે તેઓ જ આવશે, પણ જનતા કંટાળી છે તેમજ 30 વર્ષના શાસન અને જનતાની અવગણનાનો અંત આવશે - કોંગ્રેસ પ્રભારી હરિભાઈ ભરવાડ

આગામી ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ઉમેદવારોની પસંદગી માટેની શહેરના વાઘાવાડી રોડ સ્થિત આવેલ ભાવનગર સર્કિટ હાઉસ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી હરિભાઈ ભરવાડની અધ્યક્ષતામાં તમામ 13 વોર્ડના સંભવિત ઉમેદવારો માટે 'સેન્સ' લેવાની પ્રક્રિયાનો પ્રારંભ કર્યો હતો, આ પ્રક્રિયા સવારથી રાત્રી સુધી ચાલશે, ​શહેર કોંગ્રેસ પ્રમુખ મનોહરસિંહ ગોહિલ એ જણાવ્યું હતું કે, પ્રદેશ સમિતિની સૂચના મુજબ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને અત્યંત પારદર્શક રાખવામાં આવી છે જેમાં મેં પોતે પ્રભારીને વિનંતી કરી છે કે તેઓ દરેક ઉમેદવારને વ્યક્તિગત રીતે સાંભળે અને આ પ્રક્રિયા દરમિયાન હું પોતે પણ હાજર રહીશ નહીં, જેથી દરેક દાવેદાર મુક્તપણે પોતાની રજૂઆત કરી શકે, શહેર પ્રમુખે ભાજપના શાસન પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, શહેરની જનતા વર્તમાન ભ્રષ્ટાચારી શાસનથી કંટાળી ગઈ છે અને આ વખતે ચૂંટણીમાં ભાજપને જાકારો આપી કોંગ્રેસનો 100 ટકા વિજય થશે તેવો માહોલ અત્યારથી જ જણાઈ રહ્યો છે. ​સવારથી જ સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના કાર્યકરો અને દાવેદારોની ભારે ભીડ જોવા મળી હતી, વોર્ડ નંબર 1 થી 13 સુધીના તમામ ઉમેદવારો માટે સવારના 10 થી રાત્રિના 8:30 સુધીનો સમય ફાળવવામાં આવ્યો છે. શરૂઆતના તબક્કે વોર્ડ વાઈઝ કાર્યકરોમાં જે ઉત્સાહ જોવા મળ્યો તે જોતા કોંગ્રેસ આ વખતે મનપાની ચૂંટણીમાં મજબૂત દેખાવ કરશે તેવો આશાવાદ પક્ષ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી હરિભાઈ ભરવાડએ જણાવ્યું હતું કે, કોર્પોરેશનની ચૂંટણીના આયોજનના ભાગરૂપે અમે દરેક વોર્ડમાંથી કોણ ઇલેક્શન લડવા માંગે છે, એવા મિત્રોને પર્સનલી મળવા માટેનો એક પ્રોસેસ અમે ચાલુ કર્યો છે,અમારી મહેનત અને કાર્યકર્તાનો ઉત્સાહ એવો છે કે કોર્પોરેશનની કોઈપણ સંજોગોમાં બહુમતી લાવવા માટેના અમારા પ્રયત્નો છે, મુદ્દા તો દરેક વોર્ડમાં જનરલી જુદા જુદા હશે, પણ જનરલ મુદ્દાઓ જે છે કે રોડ, પાણી, વીજળી, ગટર... આના તરફ પણ કોઈએ ધ્યાન આપ્યું નથી અને 30 વર્ષથી શાસન છે એટલે જે અત્યારના શાસનકર્તાઓ જે છે ને, એને તો જાણે એમ છે કે અમે કઈ કરીએ કે ના કરીએ, પણ આવવાના તો અમે જ છીએ. એટલે લોકોની જે અવગણના થઈ છે ને, એ અવગણનાથી લોકો કંટાળ્યા છે અને એટલા બધા ત્રાહિમામ પોકારી ગયા છે, વ્યૂહરચના તો અમે નહીં કહી શકીએ ટીવી ઉપર, પણ અમારા પ્રયાસ એ રહેવાના છે કે આ વખતે અમે 100 ટકા ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમને સફળતા મળે એવી... 'વ્યૂહરચના' શબ્દ હું નથી કહેતો પણ એવી અમારી કોશિશ અને અમારી મહેનત રહેશે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 3:52 pm

પંચમહાલ SOGએ 768 ગ્રામ એમ્બરગ્રીસ સાથે એક ઝડપ્યો:જપ્ત કરાયેલી એમ્બરગ્રીસની બજાર કિંમત 76 લાખ 80 હજાર રૂપિયા

પંચમહાલ SOG ટીમે 768 ગ્રામ શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. આ જપ્ત કરાયેલી એમ્બરગ્રીસની બજાર કિંમત 76 લાખ 80 હજાર રૂપિયા આંકવામાં આવી છે. ગોધરા SOGને બાતમીદાર મારફતે મળેલી ચોક્કસ માહિતીના આધારે, ગોધરાના બામરોલી ચોકડી નજીક વોચ ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબની હોન્ડા એક્ટિવા બાઇક આવતા તેને રોકવામાં આવી હતી. બાઇકના ચાલકની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ સુરેશ રજનસિંહ બારીયા જણાવ્યું હતું. એક્ટિવાની ડેકીમાંથી એક પીળા રંગની પ્લાસ્ટિકની થેલીમાં સફેદ કલરની થેલીમાં મુકેલી શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલ્ટી મળી આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં સુરેશ બારીયાએ જણાવ્યું કે તેણે આ વ્હેલ માછલીની ઉલ્ટી વડોદરાથી લાવી હતી. તે આ ઉંચી કિંમતની વસ્તુ વેચીને કમિશન મેળવવા ગ્રાહકની શોધમાં હતો. શંકાસ્પદ એમ્બરગ્રીસના પરીક્ષણ માટે FSL અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ગોધરાની ટીમે સ્થળ પર આવી તપાસ કરી હતી. ત્યારબાદ પકડાયેલા ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી માટે ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 3:52 pm

યુવાઓને તક ને વૃદ્ધોની હકાલપટ્ટી:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલાં ભાજપનો મોટો દાવ, 60 પાર અને ત્રણ ટર્મ વાળા નેતાઓની ટિકિટ કાપવાની તૈયારી

ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી પંચ અને રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વખતે નવી રચાયેલી મહાનગરપાલિકાઓમાં પણ ચૂંટણી યોજાવાની હોવાથી રાજકીય પક્ષો અત્યારથી જ રણનીતિ ઘડી રહ્યા છે. ખાસ કરીને ભાજપે આ ચૂંટણીને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. પાર્ટી આગામી ચૂંટણીમાં યુવા ચહેરાઓને વધુ તક આપવા તરફ આગળ વધી રહી છે. 60 વર્ષથી વધુ વયના નેતાઓની ટિકિટ પર સંકટભાજપના સૂત્રો મુજબ, ત્રણથી વધુ ટર્મથી ચૂંટાતા નેતાઓને આ વખતે ટિકિટ આપવાનો મુદ્દો ફરી વિચારવામાં આવશે અને 60 વર્ષથી વધુ વયના નેતાઓને પણ ટિકિટ મળવાની સંભાવના ઓછી માનવામાં આવી રહી છે. આ નિર્ણય અમલમાં આવે તો અનેક અનુભવી કોર્પોરેટરોની રાજકીય ઇનિંગ્સ પર વિરામ લાગી શકે છે. અમદાવાદ મહાનગરપાલિકામાં હાલ એવા લગભગ 32 કોર્પોરેટરો છે, જેઓ ત્રણ ટર્મથી વધુ સમયથી ચૂંટાઈ રહ્યા છે અથવા 60 વર્ષથી વધુ વયના છે, જેથી તેમની ટિકિટ પર સંકટ ઊભું થઈ શકે છે. નવા ચહેરાઓને તક મળવાની શક્યતાઅમદાવાદમાં નારણપુરા, રાણીપ, સરદારનગર, સૈજપુર બોઘા, ઠક્કરબાપાનગર, શાહીબાગ, બાપુનગર અને ચાંદખેડા સહિતના વિસ્તારોમાં એવા ઘણા કાઉન્સિલરો છે જે ત્રણ ટર્મથી વધુ સમયથી રાજકારણમાં સક્રિય છે. જો ભાજપ આ માપદંડ કડક રીતે લાગુ કરે તો આ વિસ્તારોમાં નવા ચહેરાઓને તક મળવાની શક્યતા છે. પશ્ચિમ વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા આયાતી ઉમેદવાર ઉતારવાની શક્યતાબીજી તરફ કોંગ્રેસ પણ યુવાનો પર દાવ લગાવવાની તૈયારીમાં છે. પક્ષ દ્વારા સંગઠન અને કાર્યક્રમોમાં સક્રિય રહેનારા કાર્યકરોને ઉમેદવારી આપવાની ચર્ચા ચાલી રહી છે. ઉપરાંત બદલાયેલા રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને કેટલાક વિસ્તારોમાં પરિવારજનોને પણ ટિકિટ આપવામાં આવી શકે છે. ખાસ કરીને અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં કોંગ્રેસ કોઈ આયાતી ઉમેદવાર ઉતારવાની શક્યતા પણ ચર્ચામાં છે. શહેરની રાજનીતિમાં મોટા ફેરફાર જોવા મળી શકેસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં ઉમેદવારી માટે દોડધામ તેજ થઈ છે. જો ભાજપ યુવા નેતૃત્વને આગળ ધપાવવાનો નિર્ણય અમલમાં મૂકે તો આ ચૂંટણીમાં અનેક નવા ચહેરા જોવા મળી શકે છે અને શહેરની રાજનીતિમાં મોટો ફેરફાર પણ જોવા મળી શકે છે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 3:50 pm

તારાપુરના રીંઝામાં નકલી ડોક્ટર ઝડપાયો:પશ્ચિમ બંગાળનો શખસ ડિગ્રી વગર એલોપેથી સારવાર કરતો હતો

તારાપુર તાલુકાના રીંઝા ગામેથી ડિગ્રી વગરના એક નકલી ડોક્ટરને એસઓજી પોલીસ અને ખડા પીએચસીની મેડિકલ ટીમે ઝડપી પાડ્યો છે. આ શખ્સ દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો. પોલીસે તેની પાસેથી મેડિકલ સાધનો, દવાઓ અને ઇન્જેક્શન સહિત કુલ ₹5201નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે, તારાપુર તાલુકાના રીંઝા ગામના મહાદેવ ફળિયામાં ગેરકાયદેસર દવાખાનું ચાલતું હોવાની જાણ થઈ હતી. આ માહિતીના આધારે, પોલીસે ખડા પીએચસીની મેડિકલ ટીમ સાથે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, એક વ્યક્તિ દર્દીઓને એલોપેથી સારવાર આપતો મળી આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં આ શખ્સે પોતાનું નામ મિલટોન ઉર્ફે મિલન સુભાષભાઈ સાધુ જણાવ્યું હતું, જે મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે. તેની પાસે ડોક્ટરની કોઈ માન્ય ડિગ્રી કે પ્રમાણપત્ર ન હોવાનું તેણે સ્વીકાર્યું હતું. પોલીસે સ્થળ પરથી દર્દીઓની તપાસ માટેના મેડિકલ સાધનો, દવાઓ અને ઇન્જેક્શનો સહિત કુલ ₹5201નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બનાવટી ડોક્ટર મિલટોન ઉર્ફે મિલન સાધુ વિરુદ્ધ ગુજરાત મેડિસિન એક્ટની સંબંધિત કલમો હેઠળ તારાપુર પોલીસ મથકે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 3:42 pm

વ્યારામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી:નારી સશક્તિકરણ પર ભાર, સિદ્ધિવાન મહિલાઓનું સન્માન કરાયું

તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. 8 માર્ચના રોજ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી હોલમાં પદ્મશ્રી રમીલાબેન ગામીતના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પદ્મશ્રી રમીલાબેન ગામીતે ઉપસ્થિત મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે મહિલાઓ સમાજના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તેમના સશક્તિકરણ વગર સમાજનો વિકાસ શક્ય નથી. તેમણે સરકાર દ્વારા મહિલાઓને આર્થિક અને સામાજિક રીતે સશક્ત બનાવવા માટે અમલમાં મુકાયેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો, જેનાથી મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે. નાયબ પોલીસ અધિક્ષક નિકિતા શિરોયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “એક પુરુષને ભણાવીએ તો માત્ર એક વ્યક્તિ ભણે છે, પરંતુ એક સ્ત્રીને ભણાવીએ ત્યારે સમગ્ર કુટુંબ ભણે છે.” તેમણે સમાજના વિકાસ માટે મહિલા શિક્ષણની અત્યંત આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ખ્યાતિ પટેલે દીકરીઓ અને મહિલાઓને મોટિવેશન તથા કરિયર અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આજના સમયમાં દીકરીઓ દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભા સાબિત કરી રહી છે. “એક સ્ત્રી બે કુળને તારે છે” એવો સંદેશ આપતા તેમણે નારી શક્તિનું સન્માન અને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર મહિલાઓ તથા તેજસ્વી દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સાથે વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ નિદર્શનનું પણ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં વ્યારા નગરપાલિકાના પ્રમુખ રીતેષભાઈ ઉપાધ્યાય, વ્યારા પ્રાંત સંદીપ ગાયકવાડ, જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી સુલોચના પટેલ સહિત મહિલા પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 3:38 pm

નવસારીમાં માર્ચમાં ગરમીનો રેકોર્ડ તૂટ્યો:પારો 41 ડિગ્રીને પાર, કેરીના પાકને 80% નુકસાનની ભીતિ

નવસારી જિલ્લામાં માર્ચ મહિનામાં જ ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. પ્રથમ વખત તાપમાનનો પારો 41.0 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વહેલી સવારે ઠંડી અને બપોરે અતિશય ગરમીના કારણે 'ડબલ સીઝન'નો અનુભવ થઈ રહ્યો છે, જેની સીધી અસર ખેતી અને ખાસ કરીને કેરીના પાક પર જોવા મળી રહી છે. નવસારી કૃષિ યુનિવર્સિટી (NAU) ના હવામાન વિભાગના આંકડા મુજબ, આજે મહત્તમ તાપમાન 41.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 19.0 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. ગરમીની શરૂઆતમાં જ પારો 40 ડિગ્રીને પાર કરી જતાં શહેરીજનો ગરમીથી અકળાઈ ઉઠ્યા છે. બપોરના સમયે આકરા તાપને કારણે લોકોએ ઘરમાંથી બહાર નીકળવાનું ટાળ્યું હતું, જેના લીધે માર્ગો પર નીરવ શાંતિ જોવા મળી હતી. હજી એપ્રિલ અને મે મહિનો બાકી છે ત્યારે આગામી દિવસોમાં ગરમી વધુ તીવ્ર બનવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા નોંધાયેલા અન્ય આંકડા મુજબ, સવારે ભેજનું પ્રમાણ 91% અને સાંજે 16% હતું, જ્યારે પવનની ગતિ ઉત્તર-પૂર્વ દિશામાંથી 3.2 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી. હવામાનમાં આવી રહેલા આ મોટા ફેરફારને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ખેડૂત સમાજના પ્રમુખ પિનાકીન પટેલના જણાવ્યા અનુસાર, થોડા દિવસો અગાઉ પડેલા ઝાકળને કારણે આંબાના પાકમાં ફૂગનું નિર્માણ થયું હતું. હવે અચાનક તાપમાન 41 ડિગ્રી પર પહોંચતા કેરીના અપરિપક્વ અને પરિપક્વ બંને પ્રકારના ફળને નુકસાન થવાની ભીતિ છે. કૃષિ નિષ્ણાતો અને ખેડૂતોના મતે, જો આ પ્રકારનું વિપરીત વાતાવરણ યથાવત રહેશે, તો આ વર્ષે માર્કેટમાં કેરીની આવક પર માઠી અસર પડશે. ગરમી અને રોગચાળાને કારણે અંદાજે 80 ટકા જેટલી કેરી ખરી પડવાની (ઠળવાવાની) સંભાવના છે, જેના કારણે બાગાયતદારોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 3:37 pm

CVMUમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી:'મેધા, મૃદુતા અને મમતા' વિષય પર વિશેષ કાર્યક્રમ યોજાયો

સીવીએમ (CVM) યુનિવર્સિટીના વુમન ડેવલપમેન્ટ સેલ (WDC) દ્વારા બ્રહ્માકુમારીઝ, વલ્લભ વિદ્યાનગરના સહયોગથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે 'મેધા, મૃદુતા અને મમતા: મહિલા તારા રૂપ અનેક' વિષય પર એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ અર્ધદિવસીય કાર્યક્રમ બાકરોલ સ્થિત બ્રહ્માકુમારીઝના 'વર્લ્ડ ઓફ સાયલન્સ' ખાતે યોજાયો હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન CVMUના ચેરમેન ભીખુભાઈ પટેલ અને પ્રોવોસ્ટ પ્રોફ. (ડૉ.) ઇન્દ્રજીત એન. પટેલની ઉપસ્થિતિમાં થયું હતું. WDCના પ્રમુખ ડૉ. મૌલિકા પટેલ અને ઉપપ્રમુખ ડૉ. પ્રિતી લુહાણાએ કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્પષ્ટ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, આ આયોજનનો ઉદ્દેશ્ય મહિલાઓમાં નેતૃત્વ ક્ષમતા, સર્વાંગી વિકાસ અને ભાવનાત્મક સુખાકારી કેળવવાનો છે. આ પ્રસંગે એક પેનલ ચર્ચા પણ યોજાઈ હતી, જેમાં આશાબેન દલાલ, સરોજબેન ભીખુભાઈ પટેલ, ડૉ. સરિતા ભૂતડા અને બી.કે. (ડૉ.) દામિનીએ ભાગ લીધો હતો. તેમણે મહિલાઓની વિવિધ ભૂમિકાઓ અને આધ્યાત્મિક સંતુલન અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. સમગ્ર પેનલ ચર્ચાનું સંચાલન નિશા નાયર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સમાપન સમયે બ્રહ્માકુમારીઝ દ્વારા માર્ગદર્શિત ધ્યાન (Meditation) સત્ર યોજાયું હતું. આ સત્રમાં ઉપસ્થિત મહિલા કર્મચારીઓએ આંતરિક શાંતિનો અનુભવ કર્યો હતો. ચરુતર વિદ્યા મંડળ સંચાલિત વિવિધ સંસ્થાઓની મોટી સંખ્યામાં મહિલા કર્મચારીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 3:35 pm

ભાવનગર પોસ્ટ અને પાસપોર્ટ ઓફિસને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી:11 દિવસમાં બીજી વાર ધમકીથી ભયનો માહોલ, લોકોને સલામત રીતે બહાર કાઢાયા

ભાવનગરમાં પાસપોર્ટ ઓફિસને ફરી એકવાર બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું હતું. રાજકોટ રીજનલ ઓફિસ મારફતે મળેલા ઇમેલના આધારે એસઓજી પોલીસ, ડોગ સ્ક્વોડ અને બૉમ્બ ડિસ્પોઝલ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી સમગ્ર વિસ્તાર કોર્ડન કરી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે તપાસ દરમિયાન કોઈપણ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ભાવનગર ડિવિઝનલ પોસ્ટ ઓફિસને બોમ્બ થ્રેટ ઇમેલ મળ્યોઆ બનાવની જાણવા મળતી વિગત અનુસાર ભાવનગરમાં ફરી એકવાર બૉમ્બ ધમકી મળતાં શહેરમાં ચકચાર મચી ગઈ છે. તા. 27 ફેબ્રુઆરીએ ભાવનગર પોસ્ટ ઓફિસના પાસપોર્ટ વિભાગને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ 11 દિવસ પછી ફરી આવી ધમકી મળતા સુરક્ષા તંત્ર દોડતું થયું હતું. આજરોજ સવારે 10 વાગ્યાને 10 મિનિટે રાજકોટ રીજનલ ઓફિસ દ્વારા ભાવનગર ડિવિઝનલ પોસ્ટ ઓફિસને ઇમેલ મળ્યો હતો, જેમાં બપોરે 1 વાગ્યાને 10 મિનિટે ભાવનગર પાસપોર્ટ ઓફિસને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાનું જણાવાયું હતું. ડોગ સ્ક્વોડ, બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા તપાસબનાવની જાણ થતાં જ પાસપોર્ટ ઓફિસના અધિકારીઓએ પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરતા એસઓજી, ગંગાજળિયા પોલીસ, ડોગ સ્ક્વોડ, બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી પોસ્ટ ઓફિસ આસપાસનો વિસ્તાર કોર્ડન કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ વાહનવ્યવહાર સાથે આજુબાજુની ઓફિસો તથા દુકાનો પણ બંધ કરાવવામાં આવી હતી. ઓફિસમાંથી તમામ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યાસુરક્ષા પગલાં રૂપે ડિવિઝનલ ઓફિસમાં આવેલી પાસપોર્ટ ઓફિસ અને હેડ પોસ્ટ ઓફિસમાંથી તમામ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતાં. ત્યારબાદ ડોગ સ્ક્વોડ અને બૉમ્બ ડિસ્પોઝલ ટીમ દ્વારા સમગ્ર પરિસરમાં ગ્રાઉન્ડ ફ્લોર, પાર્કિંગ તેમજ અગાસી સહિત તમામ જગ્યાએ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે તપાસ દરમિયાન કોઈપણ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ નહિ મળી આવતા તંત્ર એ રાહતનો શ્વાસ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 10 Mar 2026 3:34 pm