માલપુરમાંથી ફરાર ચાર આરોપીઓ પકડાયા:માલપુરમાંથી પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટના ગુનાના 4 આરોપી પકડાયા
અરવલ્લી જિલ્લામાં આગામી ચૂંટણીઓને લઇ કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે માલપુર પોલીસ સ્ટેશનના જુદી જુદી કલમ હેઠળ નોંધાયેલા ગંભીર ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા 4 આરોપીઓને માલપુર ત્રણ રસ્તા પાસેથી જિલ્લાની સ્કવોડ ટીમ નં 3 અને 4ની ટીમે ઝડપી પાડ્યા હતા. જિલ્લા નાસતા ફરતા સ્કવોડ ટીમ નં3-4ના ઇન્ચાર્જ જે કે જેતાવત પીએસઆઇ બાયડની સૂચનાના ભાગરૂપે સ્ટાફ માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. દરમિયાન ખાનગી માહિતી મળી હતી કે માલપુર પોલીસ સ્ટેશનમાં જુદી જુદી કલમ તથા પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટની કલમ-3 ના ગુનામાં છેલ્લા દોઢ વર્ષના સમયથી નાસતા ફરતા આરોપીઓ પ્રકાશભાઈ જગાભાઈ ખાંટ, વિજયભાઈ રામાભાઈ ઉર્ફે કોદરજી ખાંટ, પ્રવીણભાઈ જગાભાઈ ખાંટ અને જયકર ભાઈ ઉર્ફે જાકીરભાઈ શિવાભાઈ ખાંટ તમામ રહે. નાથાવાસ તા.માલપુર જિ.અરવલ્લી માલપુર ત્રણ રસ્તા ઉપર ઉભા હોવાની માહિતીના આધારે પોલીસે ચારેય આરોપીઓની અટકાયત કરી માલપુર પોલીસને સોંપ્યા હતા.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં નવી શિક્ષણ નીતિ (NEP-2020) ના અમલીકરણ અંતગર્ત 4 વર્ષના સ્નાતક અભ્યાસનો પ્રારંભ કરવા જઈ રહ્યું છે.આગામી શૈક્ષણિક વર્ષ 2026-27 થી 19 જેટલી કોલેજોમાં ''ઓનર્સ વિથ રિસર્ચ'' એટલે કે ચાર વર્ષનો નવો સ્નાતક અભ્યાસક્રમ શરૂ થશે. યુનિવર્સિટી દ્વારા નવી શિક્ષણ નીતિ અમલીકરણ અંતર્ગત નવા શૈક્ષણિક વર્ષમાં જે કોલેજો દ્વારા ત્રણ વર્ષના સામાન્ય સ્નાતક અભ્યાસક્રમની સાથે હવે ઓનર્સ વિથ રિસર્ચ'' 4 વર્ષના અભ્યાસક્રમ શરૂ કરવા માટે કોલેજો પાસેથી દરખાસ્ત મંગાવવામાં આવી હતી. જેમાં આ અભ્યાસક્રમ શરૂ કરવા માટે ઉત્તર ગુજરાતની કુલ 68 કોલેજોએ ઉત્સાહ દાખવી દરખાસ્ત કરી હતી. જોકે અભ્યાસ શરૂ કરવા માટે જરૂરી શૈક્ષણિક માપદંડો, સંશોધન માટેની સુવિધાઓ અને નિષ્ણાત ફેકલ્ટીની ચકાસણી કરતા માત્ર 19 કોલેજો જ પ્રાથમિક તબક્કે પાત્રતા ધરાવતી માલૂમ પડી છે. આ પાત્ર ઠરેલી કોલેજોમાં હવે LIC (Local Inquiry Committee) દ્વારા રૂબરૂ તપાસ કરવામાં આવશે, ત્યારબાદ જ તેમને અંતિમ મંજૂરી આપવામાં આવશે. મહત્વની વાત એ છે કે આ ચાર વર્ષનો અભ્યાસક્રમ વિદ્યાર્થીઓ માટે ફરજિયાત નથી. જે વિદ્યાર્થીઓ ત્રણ વર્ષમાં સ્નાતક પૂર્ણ કરવા માંગતા હોય તેઓ તેમ કરી શકશે, પરંતુ જેમને સંશોધન ક્ષેત્રે આગળ વધવું છે અથવા વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જવું છે, તેમના માટે આ ચોથું વર્ષ વરદાનરૂપ સાબિત થશે. બોર્ડ ઓફ સ્ટડીઝ દ્વારા આ માટેના નવા અભ્યાસક્રમો પણ તૈયાર કરી મંજૂર કરી દેવામાં આવ્યા છે. છાત્રો ગ્રાઉન્ડ લેવલ પર સંશોધન કરતા થશે : કુલપતિઆ અંગે કુલપતિ ડૉ.કે.સી. પોરિયાએ જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને માત્ર પદવી આપવાનો જ નહીં પણ તેમને આધુનિક યુગના પડકારો માટે તૈયાર કરવાનો છે. ઓનર્સ વિથ રિસર્ચ કોર્સ દ્વારા વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ લેવલ પર સંશોધન કરતા શીખશે. જે તેમને ભવિષ્યમાં સીધા જ પીએચ.ડી. કે આંતરરાષ્ટ્રીય સ્તરની તકો મેળવવામાં મદદરૂપ થશે. અમે ગુણવત્તા જાળવવા માટે જ ખૂબ ઓછી કોલેજોને હાલ મંજૂરી આપી રહ્યા છીએ.આ નિર્ણયથી ઉત્તર ગુજરાતના ઉચ્ચ શિક્ષણના સ્તરમાં મોટો સુધારો આવશે.
ભાષાશુદ્ધિ પર સવાલો ઊભા થયા:બનાસકાંઠામાં ધો-8ના ગુજરાતી પ્રશ્નપત્રમાં 4 શબ્દો ખોટા છપાયા
બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 8ની વાર્ષિક પરીક્ષાના ગુજરાતી પ્રશ્નપત્રમાં ભાષાકીય ભૂલો સામે આવતા વિવાદ સર્જાયો છે. પ્રશ્નપત્રમાં જયંતિના સ્થાને જયંતી, પુસ્તકપ્રેમીના બદલે પુસ્તક પ્રેમી અને લહાવોના બદલે લ્હાવો જેવા શબ્દો ખોટી રીતે છપાતા શિક્ષણ વિભાગની ભાષાશુદ્ધિ પર સવાલો ઊભા થયા છે. બનાસકાંઠા જિલ્લામાં હાલમાં પ્રાથમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી છે. આ દરમિયાન ફરી એક વાર ધોરણ-8ના ગુજરાતી વિષયના પ્રશ્નપત્રમાં ગંભીર ભાષાકીય ભૂલો જોવા મળી હતી. પ્રશ્નપત્રમાં પ્રશ્ન એકના પેટા પ્રશ્ન બમાં પોસ્ટર આધારિત પ્રશ્નમાં એક-બે નહીં પરંતુ 4 જોડણીની ભૂલો જોવા મળતા પેપર સેટરની બેદરકારી સામે આવી છે. પ્રશ્ન-1ના પેટા વિભાગ બમાં આપેલા પોસ્ટરમાં અનેક ખામીઓ રહી ગઈ હતી. તેમાં લ્હાવો શબ્દ લખાયો હતો, જ્યારે સાચી જોડણી લહાવો થાય છે. તે જ રીતે પુસ્તક પ્રેમી અલગ લખાયું હતું, જ્યારે યોગ્ય શબ્દ પુસ્તકપ્રેમી છે. ઉપરાંત જન્મજયંતિ શબ્દમાં પણ ભાષાકીય ક્ષતિ જોવા મળી હતી. યોગ્ય રીતે જયંતી અથવા જન્મજયંતી લખાવું જોઈએ. સાથે જ પુસ્તક મેળો અલગ લખાયો હતો, જ્યારે સાચો શબ્દ પુસ્તકમેળો છે.
IPL 2026ની 25મી મેચ આજે ગુજરાત ટાઇટન્સ (GT) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચે રમાશે. મેચ ગુજરાતના હોમ ગ્રાઉન્ડ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે. મેચનો ટૉસ સાંજે 7:00 વાગ્યે થશે. KKRએ આ સીઝનમાં 5 મેચ રમ્યા છે. તેને 4 મેચમાં હાર મળી છે અને એક મુકાબલો વરસાદને કારણે રદ રહ્યો છે. GTએ 4 મેચ રમી છે અને તેને 2 મેચમાં જીત અને એટલી જ મેચમાં હાર મળી છે. ટીમે છેલ્લી બે મેચમાં દિલ્હી અને લખનઉને હરાવ્યા છે. KKR સામે GTનું પલડું ભારે IPL માં બંને ટીમ વચ્ચે 4 મેચ રમાયા છે. આ દરમિયાન GTએ 3 મેચ પોતાના નામે કરી છે. KKR માત્ર એક મેચ જીતવામાં સફળ રહી છે. IPL 2025માં બંને ટીમ વચ્ચે એક મેચ થઈ હતી, જેને GTએ 39 રનથી જીતી હતી. બટલરે 2 ફિફ્ટી ફટકારી આ સીઝનમાં ગુજરાત ટાઇટન્સ માટે જોસ બટલર શાનદાર ફોર્મમાં જોવા મળ્યો છે. તેણે 4 મેચમાં 176 રન બનાવ્યા છે, જેમાં 2 ફિફ્ટી સામેલ છે. બીજી તરફ બોલિંગમાં પ્રસિદ્ધ ક્રિષ્નાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 4 મેચમાં 10 વિકેટ ઝડપી છે. કોલકાતાના ખેલાડીઓનું ખરાબ ફોર્મ યથાવત કોલકાતા તેના સ્ટાર ખેલાડીઓના ખરાબ ફોર્મને કારણે આ સીઝનમાં અત્યાર સુધી એક પણ મેચ જીતી શકી નથી. રિંકુ સિંહ, કેમરૂન ગ્રીન અને કેપ્ટન અજિંક્ય રહાણે જેવા ખેલાડીઓ IPL 2026માં કંઈ ખાસ કમાલ કરી શક્યા નથી. અંગક્રિશ રઘુવંશી કોલકાતાનો ટૉપ સ્કોરર છે. તેણે 5 મેચમાં 182 રન બનાવ્યા છે, જેમાં 2 અડધી સદી સામેલ છે. જ્યારે બોલિંગમાં વૈભવ અરોરાએ 5 મેચમાં 6 વિકેટ લીધી છે. પહેલી મેચમાં 200+ સ્કોર બન્યો હતો નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે બેટિંગ-ફ્રેન્ડલી માનવામાં આવે છે, પરંતુ અહીં દરેક મેચમાં થોડો ફેરફાર પણ જોવા મળે છે. આ મેદાનની સપાટી પર સારો બાઉન્સ અને પેસ મળે છે, જેનાથી બેટર્સને સરળતાથી શોટ રમી શકે છે. આ સીઝનમાં અહીં એક મેચ રમાઈ છે. 4 એપ્રિલે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સે 210 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત 20 ઓવરમાં 204 રન જ બનાવી શક્યું હતું. અમદાવાદમાં વરસાદની શક્યતા નહીં 17 એપ્રિલે અમદાવાદમાં હવામાન ઘણું ગરમ રહેવાનું છે. દિવસનું મહત્તમ તાપમાન લગભગ 42 થી 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન 25–26 ડિગ્રીની આસપાસ રહેશે. આખો દિવસ આકાશ ચોખ્ખું અને તડકો તેજ રહેશે, જેનાથી ગરમી વધુ અનુભવાશે. વરસાદની કોઈ ખાસ શક્યતા નથી. બન્ને ટીમની પોસિબલ પ્લેઈંગ-12 ગુજરાત ટાઇટન્સ (GT): સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, કાગિસો રબાડા, અશોક શર્મા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઈમ્પેક્ટ પ્લેયર: શાહરૂખ ખાન. કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), કેમરૂન ગ્રીન, રિંકુ સિંહ, રમણદીપ સિંહ, રોવમેન પોવેલ, સુનીલ નારાયણ, અનુકૂલ રોય, વરુણ ચક્રવર્તી, કાર્તિક ત્યાગી અને વૈભવ અરોરા. ઈમ્પેક્ટ પ્લેયર: ફિન એલન.
શાસક પક્ષ બનવા ચૂંટણીમાં ઉમેદવારો સુનિશ્ચિત કરવા આર્થિક સદ્ધરતા મહત્વનું પરિબળ બની ગયું હોય તેમ હિંમતનગર પાલિકાના ભાજપના 42 પૈકી 16 ઉમેદવારો 1 કરોડથી માંડી 52 કરોડ સુધીની સ્થાવર જંગમ મિલકતો ધરાવતા ગર્ભશ્રીમંત હોવાનું ખૂલ્યું છે. તેમની સામે રોજેરોજ કમાઈને ગુજરાન ચલાવતા પરિવારના સભ્યો ચૂંટણી લડી રહ્યા છે. જેમણે લગભગ એકસરખી 25 હજાર રોકડ, 1 તોલો સોનું અને 5 તોલા ચાંદીની વિગતો દર્શાવી છે. ભાજપમાં પણ ઉચ્ચ અભ્યાસ કરનાર યુવતીએ પોતાની પાસે 15 હજાર રોકડ દર્શાવી છે. ચૂંટણી પંચ સમક્ષ ઉમેદવારોએ રજૂ કરેલા એફિડેવિટમાં 44 ઉમેદવારોએ ધો-6 થી ધો-12 સુધીનો અભ્યાસ કર્યાનું જાહેર કર્યું છે. જ્યારે 26 ઉમેદવારોએ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો છે. હિંમતનગર પાલિકાના 11 વોર્ડની 44 બેઠક પૈકી 3 બેઠક બિનહરીફ થઈ ગયા બાદ 41 બેઠક માટે 82 ઉમેદવાર મેદાનમાં છે. તે પૈકી કોંગ્રેસના 3 ઉમેદવારોએ બબ્બે ત્રણ-ત્રણ વોર્ડમાં ઉમેદવારી કરી છે. 82 ઉમેદવારોમાં ડોક્ટર, એન્જિનિયર, કાયદા નિષ્ણાંત, પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલા ઉમેદવારોની સાથે ધો-6 થી ધો-12 સુધીના અભ્યાસવાળા ઉમેદવારો પણ છે. વોર્ડ નં-7 માં ઉમેદવારી કરનાર નટવરલાલ મણીલાલ શાહે MBBS PGQM AHO થયેલા છે. તો લો માં પીએચડી કરનાર મહિલા અને જરનાલીઝમમાં માસ્ટર ડિગ્રી મેળવનાર ઉમેદવાર પણ છે. 12 ઉમેદવારોએ પ્રાથમિક મળી કુલ 44 ઉમેદવારો માધ્યમિક શિક્ષણથી આગળ વધી શક્યા નથી. એ જ રીતે સંપત્તિમાં પણ પ્રથમ 10 ક્રમે આવતાં ઉમેદવારોમાં ભાજપના 8 અને કોંગ્રેસના 2 ઉમેદવાર છે. વોર્ડ-1 ના ભાજપના ઉમેદવાર ગોપાલસિંહ રાઠોડ 52 કરોડના આસામી છે તો તેમના જ પક્ષના ઉચ્ચ અભ્યાસ કરનાર પ્રિયંકાબેન સલાટ પાસે 15000 રોકડ છે. ભાજપના વોર્ડ-6 માં ઉમેદવારી કરનાર હિતેશભાઈ પટેલ પણ 34 કરોડના આસામી છે. સૌથી વધુ લોન 7.81 કરોડ હિતેશ પટેલના નામે છે. વોર્ડ-1ના ઉમેદવાર ગોપાલસિંહ રાઠોડ ગન લાયસન્સ પણ ધરાવે છે. શેર ડિબેન્ચર્સ મ્યુચ્યુઅલ ફંડમાં સૌથી વધુ રોકાણ 14 કરોડ જેટલું અમૃતભાઈ પુરોહિત કરેલું છે. 82 ઉમેદવારો પૈકી 18 ઉમેદવારોએ પોતાના મકાન હોવાનું જાહેર કર્યું નથી. કરોડપતિ ઉમેદવારો ઉચ્ચ શિક્ષણ ઓછો અભ્યાસ બાકી લોન/ ઓવરડ્રાફ્ટ આર્થિક સામાન્ય
યુવક માછીમારી કરવા જતાં મોતને ભેટ્યો:હિંમતનગરના હાથરોલ ગામનો યુવાન તળાવમાં ડૂબી જતાં મોત
હિંમતનગરના હાથરોલના તળાવમાં માછીમારી કરવા ગયેલા 25 વર્ષીય યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. આ ઘટનાની જાણ બનાવના બીજા દિવસે મિત્રો દ્વારા પરિવારને કરાઇ હતી. મળતી માહિતી મુજબ, હાથરોલ ગામનો વતની અમ્રતભાઈ પોપટભાઈ મકવાણા (25) તેના ત્રણ અન્ય મિત્રો સાથે ગામના તળાવમાં માછીમારી કરવા માટે ગયો હતો. માછીમારી દરમિયાન અચાનક અમ્રતભાઈ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સાથે રહેલા મિત્રો તેને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા. જેના કારણે આ ગંભીર બનાવની જાણ પરિવારને કરાઇ ન હતી. આ ઘટના બની તેના બીજા દિવસે મિત્રો દ્વારા મૃતક યુવાનના પરિવારજનોને સમગ્ર મામલે જાણ કરાઇ હતી. દીકરાના મોતના સમાચાર મળતાં જ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તાત્કાલિક સ્થાનિક તંત્ર અને ફાયરબ્રિગેડને આ અંગે જાણ કરાઇ હતી. હિંમતનગર ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તળાવમાં શોધખોળ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ બપોરે અઢી વાગ્યાની આસપાસ યુવાનની લાશને બહાર કાઢી હતી. ગાંભોઈ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતે મોતના ગુના સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહને પંચનામા બાદ પોસ્ટમોર્ટમ અર્થે રૂપાલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. માછીમારી કરવા ગયેલા આશાસ્પદ યુવાનના મોતથી હાથરોલ ગામમાં સન્નાટો વ્યાપી ગયો છે. જ્યારે મિત્રોએ મોડી જાણ કેમ કરી તે બાબત પણ પંથકમાં ચર્ચાનો વિષય બની છે.
ભગવાનના દર્શન કરાવવાના બહાને અંધશ્રદ્ધાની જાળ બિછાવી વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવી લૂંટ ચલાવતું રિઢા દંપતી પૈકીના પતિને એલસીબીએ ઝડપી પાડ્યો હતો. શેખ દંપતી રાજકોટ, વડોદરા, ગોધરા, અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરો ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ આવી જ રીતે વૃદ્ધાઓને ભોળવી લૂંટ ચલાવતું હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠા એલસીબીએ ભગવાનના દર્શન કરાવીશું કહી વૃદ્ધ મહિલાઓને અંધશ્રદ્ધાની જાળમાં ફસાવી લૂંટ ચલાવતી શેખ દંપતીની ટોળકીના પતિ ઈકબાલ કમરૂદ્દીન શેખને પાલનપુરમાંથી બાઇક સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે પત્ની સલમા ઉર્ફે સલીમા ઈકબાલ શેખ હજુ ફરાર છે. આ દંપતી ધાર્મિક સ્થળો પાસે વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવતું હતું. કોઈ દંપતીને સંતાન થયાનું કહીં વિશ્વાસમાં લઈ દાગીના રૂમાલમાં મૂકાવી 100 ડગલાં નીચું જોઈ ચાલશો તો ભગવાનના દર્શન થશે કહી મહિલાઓને ભોળવતા અને દાગીના લઈને ફરાર થઈ જતા હતા. થોડા દિવસ પહેલાં પાલનપુરની બ્રિજેશ્વર કોલોનીમાં ઉષાબેન ઓઝા પાસેથી રૂ.1.38 લાખના 5 તોલા જેટલા સોનાના દાગીના આ જ રીતે લૂંટાયા હતા. સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડી સોનાના દાગીના, બાઇક અને મોબાઇલ સહિત રૂ.5.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગુજરાત અને મહારાષ્ટ્રમાં ટોળકી સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે. ઈકબાલ શેખની 20થી વધુ ગુનામાં સંડોવણીઈકબાલ કમરૂદ્દીન શેખ સામે ગુજરાત અને મહારાષ્ટ્રમાં 20થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. ગોધરા, રાજકોટ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, કલોલ, રાજૂલા સહિતના પોલીસ સ્ટેશનોમાં તેના વિરુદ્ધ છેતરપિંડી, ચોરી અને વિશ્વાસઘાતના ગુનાઓ નોંધાયા છે. તાજેતરમાં પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે છેતરપિંડી ગુનો નોંધાયો હતો. વર્ષ 2023માં પાસા હેઠળ પણ કાર્યવાહી થઈ હતી. મહારાષ્ટ્રના મલાડ અને એલ.ટી. માર્ગ પોલીસ સ્ટેશનમાં પણ 8 ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યુ હતું.
કાણોદરની ફેક્ટરીમાં આગ:સારવાર દરમિયાન બેના મોત, એક ગંભીર
પાલનપુર અમદાવાદ હાઈવે પર કાણોદર ગામમાં આવેલી વિદેશમાં સપ્લાય કરવા માટે પ્રોટીન પાવડર બનાવતી ફેક્ટરીમાં લાગેલી આગમાં 3 અત્યંત ગંભીર રીતે દાઝી ગયા હતા. જે પૈકી બેના મોત નિપજયા છે. જેમાં 24 વર્ષીય વિવેકકુમાર વિન્દેશ્વર રામદાસ અને 21 વર્ષીય રવિતા ઉર્ફે અંજલિકુમારી ઉમા પાસવાનનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગુરુવાર વહેલી સવારે મોત નિપજ્યું હતું.જ્યારે 20 વર્ષીય રાજાકુમાર લાલનરામ દાસની હાલત પણ ગંભીર છે. જેના બચવાના ચાન્સ માત્ર 10 ટકા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પાલનપુર તાલુકા પોલીસ દ્વારા ફેક્ટરીમાં પંચનામાની કાર્યવાહી કરી હતી.આ પૂર્વે મોડી રાત્રે જુદા જુદા વિભાગના અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બુધવારે સાંજે આદર્શ પ્રોટીન પાવડર નામની કંપનીમાં મોટી માત્રામાં પ્રોટીન પાવડરની જુદી જુદી બેગ સ્ટીલની ચેનલ પરથી જથ્થામાં ગોઠવવા આગળ મોકલાઈ રહી હતી. ત્યારે અચાનકજ સ્પાર્ક થતા પ્રોટીન પાવડરની બેગો જ્યાં જ્યાં પડી હતી તેમાં તુરંત આગ લાગી હતી. કંપનીના સ્ટાફે જણાવ્યું કે જેવી આગ લાગી કે તુરંત અમારી ફાયર સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ હતી. જુદી જુદી ફાયરની બોટલથી આગ પર કાબુ મેળવી લીધો હતો. અને ઘાયલોને તુરંત સારવાર માટે ખસેડ્યા હતા.દરમિયાન ગંભીર રીતે દાઝી જતા સિવિલમાં લાવેલા ઘાયલોને તુરંત અમદાવાદ ખસેડ્યા હતા જ્યાં સારવાર દરમિયાન બેના મોત નીપજ્યા હોવાનું પાલનપુર તાલુકાના સૂત્રોએ જણાવ્યું હતું.
રાજકારણના અખાડામાં ટિકિટ મેળવવા માટે નેતાઓ અનેક કાવાદાવા કરતા હોય છે પરંતુ, વડોદરામાં એક એવી ઘટના સામે આવી છે જે ભક્તિ અને શ્રદ્ધાની લોકગાથા જેવી ભાસે છે. ભાજપના પાયાના કાર્યકર કોકિલાબેન પવારે વર્ષ 2015માં ટિકિટ ન મળતા અઘરી બાધા લીધી હતી કે, જ્યાં સુધી પક્ષ ટિકિટ નહીં આપે, ત્યાં સુધી પગમાં પગરખાં નહીં પહેરું. કાળઝાળ ગરમી હોય કે ચોમાસાનો કાદવ, સતત પાંચ વર્ષ સુધી ઉઘાડા પગે ફરીને પોતાની વફાદારી સાબિત કરનાર કોકિલાબેનની આ 'તપસ્યા' આખરે 2026ની ચૂંટણીમાં ફળી છે. અનેક ટીકાઓ અને શારીરિક કષ્ટો સહન કર્યા બાદ પક્ષે તેમની ધીરજની કદર કરતા ઉમેદવારી જાહેર કરી છે, જે આજે સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની છે. લોકોએ કહ્યું 'ગાંડપણ' પણ શ્રદ્ધા ડગી નહીંઆ ઘટનાક્રમની શરૂઆત વર્ષ 2015માં થઈ હતી. જાહેર જીવનમાં સક્રિય સ્ત્રી માટે કાળઝાળ ગરમી, કાદવ કે પથરાળ રસ્તાઓ પર ઉઘાડા પગે ફરવું એ શારીરિક અને સામાજિક બંને રીતે પડકારજનક હતું. વર્ષો વીતતા ગયા અને ઋતુઓ બદલાઈ, પણ કોકિલાબેનનો નિર્ણય અટલ રહ્યો. વડોદરાના રાજકારણમાં તેઓ ચર્ચા અને ક્યારેક 'હાંસી'નું પાત્ર પણ બન્યા. કેટલાક લોકોએ તેને 'ટિકિટ મેળવવાનું ગાંડપણ' ગણાવ્યું, પરંતુ તેમના માટે આ માત્ર જીદ નહીં પણ ધ્યેય પ્રત્યેની એકાગ્રતા હતી. પગમાં કાચ વાગ્યો ને નિયતિએ કસોટી કરી2020માં એક સામાજિક પ્રસંગમાં તેમના પગમાં કાચ વાગતા ઊંડો ઘા પડ્યો હતો. લોહીલુહાણ હાલત અને અસહ્ય પીડા જોઈ પરિવારે તેમને બાધા છોડવા વિનંતી કરી. અંતે, સ્વાસ્થ્યના હિતમાં અને સ્વજનોના આગ્રહને વશ થઈ તેમણે પગરખાં પહેરવાનું શરૂ કર્યું પરંતુ, પક્ષ માટેની તેમની મહેનત અને આશા જીવંત રહી. એવુ કહેવાય છે કે, મહેનત અને શ્રદ્ધા ક્યારેય એળે જતી નથી. તેમની પાંચ વર્ષની આ આકરી તપસ્યા અને નિઃસ્વાર્થ સેવાની નોંધ ભાજપના મોવડી મંડળે લીધી. 2026ની ચૂંટણીમાં જ્યારે ઉમેદવારોની યાદી જાહેર થઈ ત્યારે કોકિલાબેન પવારનું નામ જોઈ સમર્થકોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. કોકિલાબેનનો કિસ્સો એ વાતની પ્રતીતિ કરાવે છે કે, રાજકારણ માત્ર આંકડાકીય ગણિત નથી. ક્યારેક અતૂટ સંકલ્પ શક્તિ અને ધૈર્ય પણ ભાગ્યના દ્વાર ખોલી શકે છે. આજે તેઓ ઉત્સાહભેર પ્રચાર કાર્યમાં જોતરાયા છે, જે સાબિત કરે છે કે દ્રઢ મનોબળ આગળ દરેક મુશ્કેલી વામણી છે.
ગમખ્વાર અકસ્માતમાં આશાસ્પદ યુવકે ગુમાવ્યો જીવ:ડાલાનું ટાયર ફાટતાં બાઇક સવારને અડફેટે લેતાં મોત
સમી-રાધનપુર હાઈવે પર હૃદયદ્રાવક અકસ્માતની ઘટનામાં સનાડ ગામના એક આશાસ્પદ યુવકે જીવ ગુમાવ્યો છે. સનાડ ગામનો 30 વર્ષીય અનિલ પ્રજાપતિ નામનો યુવક પોતાનું બાઈક લઈને સમીથી રાધનપુર તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન તેની પાછળ આવી રહેલા એક પીકઅપ ડાલાનું ટાયર અચાનક ધડાકાભેર ફાટતા ચાલકે કાબુ ગુમાવી દીધો હતો. બેકાબુ બનેલા ડાલાએ આગળ જઈ રહેલા અનિલના બાઈકને જોરદાર ટક્કર મારતા તે રોડ પર પટકાયો હતો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર અર્થે પાટણ તરફ ખસેડવામાં આવ્યો હતો.જોકે હોસ્પિટલ પહોંચે તે પહેલા રસ્તામાં જ તેનું મોત નિપજ્યું હતું. જુવાનજોધ દીકરાના અકાળે અવસાનથી પ્રજાપતિ પરિવાર અને સનાડ ગામમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે. મૃતદેહને ધારપુર સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર ફાઈનલ થતા જ હવે ભાજપ-કોંગ્રેસ અને અન્ય પક્ષોના ઉમેદવારો તમારા આંગણે મત માંગવા આવશે. ત્યારે તમારા માટે એ જાણવું પણ મહત્વનું છે કે, તમે જેને મત આપીને ચૂંટવાના છો તે ઉમેદવાર કેટલો શિક્ષિત છે? ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ઉમેદવારી સમયે રજૂ કરવામાં આવેલી એફિડેવિટમાં રજૂ કરાયેલા શૈક્ષણિક માહિતીનું ભાસ્કરે વિશ્લેષણ કર્યું છે. જેમાં ભાજપ-કોંગ્રેસે 9-9 વકીલોને અને 1 તબીબને ટિકિટ આપી છે. જો કે, 16 ઉમેદવારો એવા પણ છે કે, જેઓની શૈક્ષણિક લાયકાત 8 પાસ કે તેથી ઓછી છે. ભાજપના ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતનું સરવૈયુંભાજપના નવા 72 ઉમેદવારોમાં શૈક્ષણિક લાયકાતની દ્રષ્ટિએ મોટું અંતર જોવા મળે છે. પક્ષે 22 એવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે જેઓ ઉચ્ચ શિક્ષિત છે. જેમાં 3 ઉમેદવારો પીએચ.ડી. (ડોક્ટરેટ) ધરાવે છે, જ્યારે 9 ઉમેદવારો એડવોકેટ છે. આ ઉપરાંત ટીમમાં આર્કિટેક્ટ, એમબીએ, તબીબ અને પત્રકારત્વનો અભ્યાસ કરનારા પ્રોફેશનલ્સનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ રાજકોટ મનપાની ચૂંટણીમાં નોંધપાત્ર સંખ્યામાં એવા ઉમેદવારો પણ છે જેઓનું શૈક્ષણિક સ્તર ઘણું ઓછું છે. વોર્ડ મુજબ ઉમેદવારોના નામ અને તેમની શૈક્ષણિક લાયકાતની વિગત નીચે મુજબ છે. ચૂંટણી લડતા કુલ ઉમેદવારોમાં 12 ઉમેદવારો તો માત્ર ધોરણ 7 થી 9 સુધીનો અભ્યાસ ધરાવે છે, જ્યારે 14 ઉમેદવારો ધોરણ 10 પાસ છે. અગાઉ ચૂંટાયેલા નગરસેવકો પ્રજાના પ્રશ્નો રજૂ કરવામાં નિષ્ફળ રહ્યાકોઈપણ શહેરનો વિકાસ તેના નેતાઓની વિઝનરી શક્તિ, સમજણ અને શિક્ષણ પર આધારિત હોય છે. પરંતુ રાજકોટ મહાનગરપાલિકામાં જે ચિત્ર સામે આવ્યું છે તે અત્યંત આઘાતજનક છે. વર્ષ 2021 ની ચૂંટણીમાં ચૂંટાયેલા 72 નગરસેવકોમાંથી અડધોઅડધ કોર્પોરેટરો મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં પ્રજાકીય પ્રશ્નો રજૂ કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે. ચોંકાવનારી વિગત તો એ છે કે ભાજપના 68 અને કોંગ્રેસના 4 મળીને કુલ 72 નગરસેવકોમાંથી 17 નગરસેવકો એવા હતા જેઓ પોતે જ લખેલા કે પૂછેલા પ્રશ્નો પણ બોર્ડમાં સ્પષ્ટપણે વાંચી શકતા નહોતા! કોંગ્રેસના 39 ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત ધોરણ 10 કે તેથી ઓછીરાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા આ વખતે પાયાના કાર્યકરોની પસંદગી કરવામાં આવી છે, જેમાં 39 ઉમેદવારો એવા છે જેઓએ ધોરણ 1 થી 10 સુધીનો અભ્યાસ કર્યો છે. આ યાદીમાં સૌથી ઓછું શિક્ષણ ધરાવતા ઉમેદવાર 4 પાસ છે. વિગતવાર આંકડા જોઈએ તો 4 થી 7 પાસ હોય તેવા 3, ધોરણ 8 પાસ 10, ધોરણ 9 પાસ 12 અને ધોરણ 10 પાસ હોય તેવા 14 ઉમેદવારોનો સમાવેશ થાય છે. જ્યારે 8 ઉમેદવારો ધોરણ-12 સુધી ભણેલા છે. અન્ય 22 ઉમેદવારો ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે. જેમાં 2 ઉમેદવારો Ph.Dની પદવી ધરાવે છે. આ ઉપરાંત 9 ઉમેદવારો એડવોકેટ છે, જ્યારે બાકીના 11 ઉમેદવારો એમ.બી.એ., બી.ટેચ, અને એમ.એસ.સી. જેવી ટેકનિકલ અને વ્યાવસાયિક ડિગ્રી ધરાવે છે. શૈક્ષણિક લાયકાતમાં સૌથી નીચેના ક્રમે જોઈએ તો, વોર્ડ નં. 6 ના ઉમેદવાર દક્ષાબેન મકવાણા માત્ર 4 પાસ છે. તેવી જ રીતે મથુરભાઈ માલવી 6 પાસ અને શૈલેષભાઈ સાકરિયા 7 પાસ છે. યાદીમાં નોંધપાત્ર સંખ્યામાં એવા ઉમેદવારો છે જેઓ પાયાનું શિક્ષણ ધરાવે છે, જેમાં 7 થી 9 ધોરણ સુધીનો અભ્યાસ કરનાર 12 ઉમેદવારો અને 8 પાસ હોય તેવા 10 ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 10 પાસ હોય તેવા 14 ઉમેદવારો અને 12 પાસ હોય તેવા 8 ઉમેદવારો પણ ચૂંટણી જંગમાં ઉતર્યા છે. આમ, પક્ષે ગ્રાસરૂટ લેવલના 30 થી વધુ એવા ચહેરાઓને સ્થાન આપ્યું છે જેઓ ઉચ્ચ ડિગ્રી ધરાવતા નથી પરંતુ જનતા સાથે સીધા જોડાયેલા છે. કોંગ્રેસે પણ 9 વકીલોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યાસામે પક્ષે, કોંગ્રેસે બૌદ્ધિક અને વ્યાવસાયિક લાયકાત ધરાવતા 22 જેટલા શિક્ષિત ઉમેદવારોને પણ ટિકિટ આપી છે. જેમાં ડૉ. રતિલાલ મનજીભાઈ ડોબરિયા અને ડૉ. કોમલબેન પ્રકાશભાઈ પટેલ પીએચડીની સર્વોચ્ચ પદવી ધરાવે છે. કાયદાકીય સમજ ધરાવતા 9 એડવોકેટ ઉમેદવારો પણ મેદાનમાં છે, જેમાં વશરામ સાગઠીયા, ગાયત્રીબા વાધેલા અને અનિશભાઈ જોશી જેવા જાણીતા નામો સામેલ છે. આ યાદીમાં એમ.બી.એ., બી.ટેચ, એમ.એસ.સી. નર્સિંગ અને એમ.એસ.સી. કેમિસ્ટ્રિ જેવી ટેકનિકલ ડિગ્રી ધરાવતા યુવા ચહેરાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે કોંગ્રેસે અનુભવી કાર્યકરો અને ઉચ્ચ શિક્ષણ ધરાવતા ઉમેદવારો વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબાના નામે 17 કરોડની મિલકત, 40 કરોડની મિલકત સાથે નરેન્દ્રસિંહ ભાજપના સૌથી ધનવાન ઉમેદવારરાજકોટ માહનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ઉમેદવારોની ચિત્ર ફાઈનલ થઈ ચૂક્યું છે. રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા ફાઈલ કરવામાં આવેલા સોગંદનામા પોતાની મિલકત, કેસ, વ્યવસાય, અભ્યાસ સહિતની માહિતી રજૂ કરવામાં આવી છે. રાજકોટ મનપામાં ઉમેદવારો દ્વારા રજૂ કરાયેલા સોંગદાનામાની વિગત મુજબ ભાજપ-કોંગ્રેસના 4-4 અને આમ આદમી પાર્ટીના એક ઉમેદવાર કરોડપતિ હોવાનું સામે આવ્યું છે. વોર્ડ નંબર 3ના ભાજપના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજા પાસે સૌથી વધુ 40 કરોડની સંપતિ છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અને રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબાએ 17 કરોડની મિલકત દર્શાવી છે. (સંપૂર્ણ સમાચાર વાંચો) રાજકોટ મનપાની 72 બેઠક પર ભાજપ સામે કોંગ્રેસના કયા ઉમેદવારની ટક્કર, ફોટો સાથેની યાદી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ઉમેદવારોએ પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પરંતુ આ વખતે સૌથી રસપ્રદ ચૂંટણી ચાંદખેડા વોર્ડમાં થવાની છે. જ્યાં રાજકીય લડત હવે માત્ર પાર્ટીઓ વચ્ચે સીમિત રહી નથી પરંતુ એક જ પરિવારની અંદર સીધી ટક્કર સર્જાઈ રહી છે. પૂર્વ કોર્પોરેટર રાજશ્રી કેસરીને કોંગ્રેસે ફરી ટિકિટ આપી ચૂંટણી મેદાને ઉતાર્યા છે. તો બીજી તરફ ભાજપે તેમના જ કૌટુંબિક ભાઈ યશ જાદવને ટિકિટ આપી છે. જેથી હવે પેનલ જીતાડવા માટે કૌટુંબિક ભાઈ અને બહેન એક બીજાને હરાવવા માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. બહેન રાજશ્રી કેસરી અને ભાઈ યશ જાદવની પેનલ વચ્ચે ટક્કરકોંગ્રેસ દ્વારા પૂર્વ કોર્પોરેટર રાજશ્રી કેસરીને ફરી એક વખત ચૂંટણી લડવા માટે ટિકિટ આપી મેદાને ઉતાર્યા છે, તેમજ પેનલ પણ ઉતારવામાં આવી છે. બીજી તરફ ભાજપે દાવ ખેલી રાજશ્રીબેનના કૌટુંબિક ભાઈ યશ જાદવને ટિકિટ આપી સીધી ટક્કર ઊભી કરી છે. જેના કારણે ચાંદખેડાની ચૂંટણી હવે રાજકીય કરતા વધુ પારિવારિક પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. રાજશ્રી કેસરી માટે આ ચૂંટણી પ્રતિષ્ઠા સાથે અનુભવની પણ કસોટી છે. પૂર્વ કોર્પોરેટર તરીકે તેમણે વિસ્તારમાં વિકાસના અનેક કામો કર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને તેના આધાર પર મતદારોનો વિશ્વાસ જીતવાની કોશિશ કરી રહ્યા છે. રાજશ્રીબેન કેસરી સાથે પેનલ પણ વિસ્તારમાં મતદારોને આકર્ષવા માટે પ્રયાસ કરી રહી છે. બીજી તરફ ભાજપના ઉમેદવાર યશ જાદવ નવા ચહેરા તરીકે મેદાને આવ્યા છે. યશ જાદવ પહેલી વખત ચૂંટણી લડી રહ્યા છે, અગાઉ તેમના પિતા ચૂંટણી લડ્યા હતા. જો કે હવે પેનલને જીતાડવા માટે બંને ઉમેદવારોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. એક તરફ રાજશ્રીબેન કેસરી પેનલને જીતાડવા માટે ભાઇને હરાવવાની માટેની રણનીતિ બનાવી રહ્યા છે તો બીજી તરફ યશ જાદવ ભાજપની પેનલ જીતે તે માટે બહેનને હરાવવા મેદાને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. રાજશ્રીબેનને ચૂંટણી જીતવા ભાજપે કરેલા કામ ગણાવવા પડે છે- યશ જાદવજો કે અત્યારથી જ પારિવારિક સંબંધ હોવાના કારણે રાજકીય ગરમાવો વધારે જોવા મળી રહ્યો છે. યશ જાદવ દ્વારા પૂર્વ કોર્પોરેટર અને કોંગ્રેસ ઉમેદવાર રાજશ્રીબેન કેસરી પર આકરા પ્રહાર પણ કરવામાં આવ્યા છે. રાજશ્રીબેન ભલે પૂર્વ કોર્પોરેટર હોય પરંતુ તેમને મતદારોને રિઝવવા માટે ભાજપે કરેલા વિકાસ જ ગણાવવા પડી રહ્યા હોવાનો યશ જાદવે દાવો કર્યો છે. તો બીજી તરફ રાજશ્રીબેન કેસરીએ પણ દાવો કર્યો છે 10 વર્ષમાં જનતા માટે અનેક મુદ્દાઓને લઈને અવાજ ઉઠાવ્યો છે જેથી મતદારો તેમની પેનલને જ પસંદ કરશે. ભાજપના ઉમેદવાર યશ જાદવે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ તમામ લોકોના વિકાસની વાત કરી છે. અમે માત્ર વિકાસના કામને લઈને જ પ્રચાર કરીએ છીએ. સમાજની સેવામાં કામ કરી છીએ અને જરૂરિયાતમંદ લોકોની યોજના બનાવી રહ્યા છીએ. ચાંદખેડામાં તમામ જગ્યાએ રોડ રસ્તા બની ગયા છે. હવે જરૂરિયાત ચાંદખેડાને મોડલ બનાવવાની છે. દરેક વોર્ડમાં સરકારી શાળાઓ અને સ્માર્ટ શાળાઓ બનાવી છે. અમદાવાદમાં જ્યારે જ્યારે ચૂંટણીનો પ્રચાર કરવામાં આવે ત્યારે ચાંદખેડાના કામનું લિસ્ટ સૌથી વધુ હોય તેવું કામ કરીશું. સમાજ સેવાની વાત આવે ત્યારે સંબંધની વાત આવતી નથી- યશ જાદવવધુમાં યશ જાદવે જણાવ્યું હતું કે, અમારા કૌટુંબિક બહેન રાજશ્રીબેન 10 વર્ષથી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસમાંથી કૌટુંબિક બહેન ઉમેદવાર છે પરંતુ સમાજની સેવાની વાત આવે ત્યારે સંબંધની વાત આવતી નથી. રાજકારણમાં હંમેશા જનતા જ દેખાય છે કોઈ કૌટુંબિક બહેન હોતી નથી કે કોઈ ભાઈ હોતો નથી. જનતાનું કામ કેટલું બાકી છે તે જોઈને જ અમે પ્રચાર કરીએ છીએ. અત્યારે અમે સેવાનો રથ લઈને નીકળ્યા છીએ જેથી અમે ચાંદખેડાની જનતાને જોઈએ છીએ બીજું કંઈ જોતા નથી. ચાંદખેડામાં અમે કરેલા વિકાસના કામ તે લોકોને ગણાવવા પડે છે. ચૂંટણીમાં સંઘર્ષ તેમને રહેવાનો છે. ચાંદખેડામાં કામ ગણાવવા માટે પણ તેમને ભાજપના પૂર્વ કોર્પોરેટરે કરેલા કામ ગણાવવા પડે છે જેથી સમજી શકાય છે કે સંઘર્ષ કોને થઈ રહ્યો છે. તેમજ લોકોને એ લાગણી છે કે સ્થાનિક ઉમેદવાર જ જીતવો જોઈએ. મારા માટે તે મારો ભાઈ નથી પરંતુ, ભાજપનો એક ઉમેદવાર છે- રાજશ્રી કેસરીચાંદખેડા વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર રાજશ્રીબેન કેસરીએ જણાવ્યું હતું કે, ચાંદખેડામાં મુખ્ય પાયાની જરૂરિયાત છે. જેથી રોડ, રસ્તા અને ગટરની સમસ્યાઓને લઈને ચાલી રહ્યા છીએ. ગટર ઉભરાય ત્યાં સાફ-સફાઈ કરાવવી પડે, પાણી નથી પહોંચતું તો પાણી પહોંચાડવાની જવાબદારી અમારી છે. ગઈ વખતે પાંચ પાણીની ટાંકી બનાવી છે. ફરી 2026માં અમારા પ્રશ્નો લઈને ચાલી રહ્યા છીએ. 2010માં પણ અમે લોકો સામસામે ચૂંટણી લડ્યા હતા અને 2026માં પણ સાથે લડીશું. અમારો કોઈ કૌટુંબિક ઝઘડો નથી. યશ ભાજપ માટે લડી રહ્યો છે અમે હું કોંગ્રેસ માટે લડી રહી છું. વધુમાં રાજશ્રીબેન કેસરીએ જણાવ્યું હતું કે, મારા માટે તે મારો ભાઈ નથી પરંતુ તે ભારતીય જનતા પાર્ટીનો એક ઉમેદવાર છે, અને હું કોંગ્રેસની ઉમેદવાર છું જેથી અમે તે રીતે જ ચૂંટણી લડીશું. કોંગ્રેસ જ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ લાવી હતી. એક એક કાગળ કરીને મેં વિગતો કાઢીને કામ કર્યા છે. જો એક એક કાગળ ન હોય તો હું પ્રચાર પાછો ખેંચી લઈશ. અર્બન હેલ્થ સેન્ટર હોય, પાણીની ટાંકી હોય, લાયબ્રેરી હોય કે બગીચા હોય તે તમામ જરૂરિયાત માટે 10 વર્ષમાં અમે જ અવાજ ઉઠાવ્યો છે. બાકી ભાજપના ઉમેદવારો માત્ર આંગળી ઊંચી કરવા માટે જ ઊભા થાય છે અને મૂંગા ચૂપ થઈને બેસી રહેતા હોય છે.
સુરત શહેરને સ્માર્ટ સિટી અને સ્વચ્છતામાં મોખરે ગણાવતા વહીવટી તંત્રના દાવાઓની પોલ વોર્ડ નંબર 9ના ઉગત સાઈટ એન્ડ સર્વિસ વિસ્તારમાં ખુલ્લી પડી ગઈ છે. દિવ્ય ભાસ્કરની ટીમે જ્યારે આ વિસ્તારની મુલાકાત લીધી ત્યારે ત્યાં નર્કાગાર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. આ વિસ્તારમાં રહેતા હજારો શ્રમજીવી પરિવારો આજે પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે. સૌથી ચોંકાવનારી અને દુઃખદ બાબત તો એ છે કે, જ્યાં દેશના ભવિષ્ય સમાન નાના બાળકો શિક્ષણ લેવા જાય છે, તે આંગણવાડીની હાલત અત્યંત દયનીય છે. નંદઘર પાસે જ ખુલ્લી ગટર અને ગંદકીનું સામ્રાજયઆંગણવાડીના મુખ્ય પ્રવેશદ્વાર પર જ ગટરનું ઢાંકણું તૂટી ગયું છે, જેના કારણે સતત અકસ્માતનો ભય રહે છે. આ તૂટેલા ઢાંકણામાંથી નીકળતી ગટરની અસહ્ય દુર્ગંધ અને આસપાસ ફેલાયેલી ગંદકીના કારણે નાના બાળકોના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે. આંગણવાડીની બાજુની ગલીઓમાં તો પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ત્યાં ગંદકીના ઢગલા ખડકાયેલા છે અને ગલીઓનું ગંદું પાણી સીધું આ તૂટેલી ગટરમાં જઈ રહ્યું છે. આવી નર્ક જેવી સ્થિતિમાં બાળકો કેવી રીતે અભ્યાસ કરી શકે અને તેમનું બાળપણ કેવી રીતે સુરક્ષિત રહી શકે તે એક મોટો સવાલ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે ઊભો થયો છે. શિવમંદિર પાસે પણ ગટરના પાણી ભરાયેલા રહેમાત્ર આંગણવાડી જ નહીં, પણ આખા વિસ્તારમાં રોડ અને રસ્તાની સમસ્યા એટલી વિકટ છે કે લોકોનું ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. લોકોના ઘર આંગણે ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે અને કાદવ-કીચડનું સામ્રાજ્ય ફેલાયેલું છે. ધાર્મિક આસ્થાના કેન્દ્ર સમાન ભગવાન શંકરના મંદિરની સામે પણ ગટરના ગંદા પાણી ભરાયેલા રહે છે, જેના કારણે ભક્તોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. પવિત્ર સ્થળોની આસપાસ પણ જ્યારે આવી ગંદકી જોવા મળે ત્યારે તંત્રની કામગીરી પર ફિટકાર વરસે તે સ્વાભાવિક છે. પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત સ્થાનિક રહીશોની સૌથી મોટી પીડા એ છે કે અહીં ગટરનું ગંદું પાણી હવે પીવાના પાણીની પાઈપલાઈનમાં ભળી રહ્યું છે. લોકોના ઘરોમાં જે નળ આવે છે તેમાં ગટરની દુર્ગંધવાળું પાણી આવતા લોકોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. આ વિસ્તારમાં મોટે ભાગે મજૂર વર્ગ રહે છે, જેઓ માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવે છે. આવી સ્થિતિમાં શુદ્ધ પાણી માટે તેમને દરરોજ મોંઘા ભાવની બિસલેરી કે પાણીના કેન લાવવા મજબૂર થવું પડે છે. પોતાની રોજની મજૂરીમાંથી પાણી પાછળ આટલો મોટો આર્થિક બોજો સહન કરવો આ ગરીબ પરિવારો માટે અશક્ય બની રહ્યો છે. ટેક્સ વસૂલવામાં ઉત્સાહિત પાલિકા સમસ્યાના નિરાકરણમાં નિરસસ્થાનિક લોકોમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની બેધારી નીતિ સામે પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જો અમે ટેક્સ કે વેરો ભરવામાં સહેજ પણ મોડું કરીએ તો તંત્રના માણસો તરત જ નળ કનેક્શન કાપવા અથવા તાળા મારવા પહોંચી જાય છે. વેરો વસૂલવામાં આટલી સક્રિયતા બતાવતું તંત્ર જ્યારે સુવિધાઓ આપવાની વાત આવે છે ત્યારે કેમ મૂંગું મોઢું કરીને બેસી જાય છે? અત્યાર સુધી આ વિસ્તારની મુલાકાત લેવા કે લોકોની સમસ્યા સાંભળવા માટે કોઈ પણ કોર્પોરેટર ડોકાયા નથી. ચૂંટાયેલા પ્રતિનિધિઓની આ ઉદાસીનતા હવે લોકોમાં આક્રોશમાં બદલાઈ રહી છે. આ વિસ્તારનાલોકોએ હવે મક્કમ નિર્ધાર કર્યો છે કે જે પક્ષ કે જે નેતા તેમનું કામ કરશે અને તેમને આ નર્ક જેવી જિંદગીમાંથી મુક્તિ અપાવશે, તેમને જ તેઓ આગામી સમયમાં પોતાનો કિંમતી મત આપશે. જો વહેલી તકે આંગણવાડીનું સમારકામ કરવામાં નહીં આવે, ગટરની લાઈનો સાફ કરવામાં નહીં આવે અને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં નહીં આવે, તો આગામી ચૂંટણીમાં મતદાન ઓછું થવાની શક્યતા રહેલી છે. દારૂબંધીના ધજાગરા ઉડતા જોવા મળ્યાવિસ્તારની વરવી વાસ્તવિકતા તપાસતા દિવ્યભાસ્કરના કેમેરામાં ખુલ્લેઆમ દારૂની મહેફીલ માણતા વીડિયો પણ કેદ થયા છે ત્યારે દારૂબંધીના કાયદા સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે કે જાહેરમાં જ આ વિસ્તારમાં લોકો દારૂની મહેફીલ માણતા દેખાઈ રહ્યા છે. સ્થાનિકોએ પાલિકા તંત્ર સામે બળાપો કાઢ્યોસ્થાનિક સોનમતીએ જણાવ્યું હતું કે, અમારી તો સમસ્યા એ છે કે અમારે ત્યાં ગટર ઉભરાઈ રહી છે વર્ષોથી. બે દિવસ સાફ કરે અને ત્રીજા દિવસે પાછું એવું ને એવું જ થઈ જાય. મ્યુનિસિપાલિટીવાળાને અરજીઓ કરી કરીને થાકી ગયા છીએ. અમે 10-20 લોકો સાથે મળીને જઈએ છીએ તો તેઓ કહે છે - 'બહાર નીકળો, બહાર નીકળો!' અમે શું નકામા બેઠા છીએ? તેઓ કહે છે કે તમારી આ જગ્યા વિવાદિત છે અને તમે અહીં જબરદસ્તીથી રહો છો. તો સરકારે જ મીરાનગર અને સુભાષનગરના ઝૂંપડા તોડીને અમને અહીં રહેવા માટે આપ્યું છે. સરકારે તોડ્યું ત્યારે જ અમે અહીં આવ્યા છીએ ને! હવે અહીં રોડ પર પણ પાણી ભરાય છે. હમણાં ચોમાસું આવશે તો એટલું પાણી ભરાઈ જશે કે અમારે જીવવું મુશ્કેલ થઈ જશે. ગંદકીને કારણે બાળકો બીમાર પડે છે, મારી તબિયત વારંવાર ખરાબ થઈ જાય છે. અમે જઈએ ક્યાં? તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી આવે એટલે બધા મોઢું બતાવીને આવી જાય છે, પણ તેમને અમારી સમસ્યા દેખાતી નથી. કહેશે કે તમારી જગ્યા વિવાદિત છે. જો જગ્યા વિવાદિત છે તો અમારી પાસે વોટ માંગવા શું કામ આવે છે? અમે લાઈટ બિલ અને વેરો ભરીએ છીએ તો અમારી જગ્યા વિવાદિત કઈ રીતે?લાઈટ બિલ અમે ભરીએ છીએ, વેરો ભરીએ છીએ. જો એક-બે વર્ષ ન ભરીએ તો તાળા લગાવી દે છે, ત્યારે જગ્યા વિવાદિત નથી હોતી? ત્યારે તો એ સરકારની જગ્યા થઈ જાય છે! જે ઓફિસમાં એવું બોલ્યા હતા એ જ લોકો અત્યારે મોઢું લટકાવીને આવશે. જો જગ્યા વિવાદિત છે તો તાળા કેમ મારે છે? અમે આ નાનાં બાળકોને લઈને ક્યાં જઈશું? માણસને પોતાની ફેમિલી તો હોવી જોઈએ ને? જો કોઈ એકલું હોય તો દુનિયા ટોણા મારે છે, પણ જેમને પરિવાર છે શું તેઓ આ ગંદકીમાં મરી જાય? વોટ આપવાની લઈને તેમને જણાવ્યું હતું કે, અમે તો બિલકુલ વોટ નહીં આપીએ. રોડ ખોદી નાખ્યો છે, અમે માટી નાખીને જે ઊંચું કર્યું હતું એ પણ બગાડી નાખ્યું. અત્યારે અહીં મોહલ્લામાં લોકો અંદરોઅંદર લડે છે. ભાઈ-ભાઈ લડે છે. પાડોશીઓ સાથે જેવો સંબંધ રાખવો જોઈએ એના બદલે ગાળાગાળી થાય છે. નેતાઓ તો વોટ લઈને જતા રહે છે, પણ પાડોશી જે ભાઈ કે દીકરા સમાન હોય તેની સાથે સંબંધ બગડે છે. તો કયા આધારે વોટ આપીએ? અમે બાળકો પેદા કરીએ છીએ કે તેઓ મોટા થઈને અમારો સહારો બનશે. અમે નેતાઓને પણ એટલે જ વોટ આપીએ છીએ કે મુસીબતના સમયે તેઓ અમારો સાથ આપશે. જેમ સંતાનો ઘડપણમાં નથી પૂછતા, એમ જ આ નેતાઓ પણ છે. કોઈ સાથ આપવા નથી આવતું. બસ આવીને કહેશે કે 'આ કરીશું, તે કરીશું...' અને પછી અંગૂઠો બતાવીને ચાલ્યા જાય છે. અમે શું પાગલ છીએ? અમે ઝૂંપડપટ્ટીમાં રહીએ છીએ તો શું અમને કોઈ સમજણ નથી? શું અમારી કોઈ ઇજ્જત નથી? અમારી કોઈ કિંમત નથી? સ્થાનિક ગુડ્ડુ સાહનીએ જણાવ્યું હતું કે, ગટરનો ચાર-પાંચ વર્ષથી પ્રોબ્લેમ છે. આવે છે લોકો કામ કરે છે અને ફરી પાછું એવું ને એવું જ થઈ જાય છે. અને પીવાનું તો એટલું વાસ મારે છે કે પૂછો જ નહીં. બે-બે, ચાર-ચાર દિવસ પછી પાણી આવે છે. ક્યારેક-ક્યારેક, પહેલા ઠીક હતું પણ અત્યારે એક-બે વર્ષથી બહુ જ પ્રોબ્લેમ છે, પાણીનો અને ગટરનો. એ તો બહુ જ વધારે તકલીફ છે. અને અમે સમસ્યા પણ લઈને જઈએ છીએ ઝોન ઓફિસમાં, તો બે માણસને મોકલે છે, પછી આવે છે અડધો કલાક કામ કરે છે અને ફરી પાછી જેવી ને તેવી જ સમસ્યા રહે છે. કોઈ નિરાકરણ આવતું નથી. જેમ કે અમે સમજો કે ગટરમાં રહેતા માણસ હોઈએ, કોઈ સાંભળતું જ નથી કંઈ કરવા માટે. તેમણે જણાવ્યું હતું કે કોઈ નેતા પ્રચાર માટે આવશે તો અમે ત્યાં શું કે પહેલા અમારી સમસ્યાનું નિરાકરણ લાવો પછી તમને વોટ આપી છું જોકે જ્યારે ચૂંટણી આવે ત્યારે તે લોકો કહે છે કે અમે તમારી આ સમસ્યાનું નિરાકરણ લાવીશું પરંતુ પછી કોઈ આવતું નથી.
અમદાવાદના દર્શન સોલંકી આત્મહત્યા કેસમાં ક્લાસમેટ સામે કેસ ચાલશે
દર્શને આઈઆઈટી હોસ્ટેલના ૭મા માળેથી ઝંપલાવ્યું હતું દર્શને લખેલી ચિઠ્ઠીના આધારે અરમાન ખત્રી સામે આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો કેસ ચલાવાશે મુંબઈ - મૂળ અમદાવાદમાં રહેતા અને મુંબઈ આઈઆઈટી પવઈમાં ભણતા વિદ્યાર્થી દર્શન સોલંકીને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા બદલ તેના ક્લાસમેટ અરમાન ખત્રી સામે કેસ ચલાવાશે. અદાલતે અરમાન પર આત્મહત્યા માટ દુષ્પ્રેરણા ઉપરાંત એટ્રોસિટી એક્ટ હેઠળના આરોપો ઘડયા છે. આઈઆઈટીમાં બી ટેક કેમિકલના પહેલાં વર્ષમાં ભણતા અમદાવાદના મણિનગરના રહેવાસી દર્શને ૨૦૨૩ની ૧૨મી ફેબુ્રઆરીએ આઈઆઈટી પવઈ ખાતેની હોસ્ટેલના સાતમા માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી હતી.
પાણી નહીં તો વોટ નહીં:રાધનપુરના નજુપુરામાં સિંચાઈના પાણી પ્રશ્ને મતદાન નહીં કરવા નિર્ણય
રાધનપુર તાલુકાના નવા નજુપુરા ગામે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો પ્રચારને બદલે બહિષ્કારમાં ફેરવાયો છે. છેલ્લા એક દાયકાથી સિંચાઈના પાણી માટે વલખાં મારતા ગ્રામજનોએ આક્રોશ સાથે પાણી નહીં તો વોટ નહીં ના બેનરો લગાવ્યા બાદ પણ સમસ્યાનું નિરાકરણ અંગે કોઈ ઉકેલ ન આવતા બુધવારે રાત્રે ગામ સભા કરી આગામી 26 એપ્રિલે સમસ્ત ગામ દ્વારા મતદાનનો સામુહિક ત્યાગ કરવાનો નિર્ણય કર્યો છે. તંત્ર અને નેતાઓની ખાલી બાંહેધરીઓને માન્ય ના રાખતા હવે રાજકીય પક્ષો સાથે નર્મદા વિભાગ પણ દોડતું થયું છે. નજુપુરા ગામમાં છેલ્લા 10 વર્ષ અગાઉ નર્મદા વિભાગ દ્વારા અંડરગ્રાઉન્ડ સિંચાઈની પાઇપ લાઇન નાખવામાં આવી હતી. આ યોજનાથી ખેડૂતોમાં આશા જન્મી હતી કે તેમની 700 વીઘાથી વધુ જમીન લીલીછમ થશે, પરંતુ હકીકત કંઈક અલગ જ રહી કેનાલમાં શોભાના ગાંઠિયા જેવી સાબિત થઈ છે, જેને પરિણામે ખેતરો સૂકા ભઠ્ઠ પડ્યા છે અને અનેક ખેડૂતો હિજરત કરવા મજબૂર બન્યા છે. રજૂઆતો છતાં નર્મદા વિભાગના બહેરા કાને અથડાઈને અરજી પાછી આવે છે. તાજેતરમાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને ઉચ્ચ અધિકારીઓએ ગામની મુલાકાત લઈ ખાતરી આપી હતી.પરંતુ કોઈ નક્કર નિરાકરણ ના આવતા બુધવારે ગ્રામજનો રાત્રે એકત્ર થઈ સભા કરી ચર્ચા બાદ જ્યાં સુધી ગામમાં પાણી ના મળે ત્યાં સુધી ચૂંટણીમાં એક પણ મત ન આપવાનો નિર્ણય લઈ ગામના લોકોએ રાજકીય પક્ષોની ઊંઘ હરામ કરી દીધી છે. નેતાઓ ખાતરી પણ કામ થતું નથી : લોકોવિપુલ દેસાઈએ જણાવ્યું હતું કેઅમે છેલ્લા 10 વર્ષથી નર્મદા વિભાગ અને નેતાઓના ઉંબરા ઘસી નાખ્યા છે.પાઈપલાઈન હોવા છતાં અમારી જમીન સૂકી છે. જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે નેતાઓ ખાતરી આપી જાય છે, પણ કામ થતું નથી. આ વખતે અમે નક્કી કર્યું છે કે જો ખેતરમાં પાણી નહીં પહોંચે, તો અમે મતદાન મથકની સીડી પણ નહીં ચઢીએ. પાણી વિના ખેતી ભાગી પડતાં મુશકેલી વધીમહિલા એ જણાવ્યું હતું કે પાણી વિના ખેતી ભાંગી પડી છે, ઘર ચલાવવા મુશ્કેલ બન્યા છે. ખેતીમાં ઉપજ ન હોવાથી મોંઘવારીમાં ગુજરાન કેમ કરવું? અનેક પરિવારો ઇજરત કરીને ઘર છોડીને જતા રહ્યા છે.સરકાર અને અધિકારીઓ પીડા નથી સમજતા, એટલે નક્કી કર્યું છે કે આ વખતે એક પણ વોટ આપવો નથી. અમારા માટે પાણીની પાયાની સુવિધા પહેલા, પછી જ ચૂંટણી અને મતદાન છે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
પોલીસની સરાહનીય કામગીરી:ખાનગી ગાડીમાં ભુલાઈ ગયેલી બેગ પોલીસે યુવકને પરત અપાવી
અમદાવાદથી મહેસાણાની મોઢેરા ચોકડી ઉપર ગાડીમાંથી ઉતર્યા બાદ ભુલાઈ ગયેલ ઉનાવાના યુવકની બેગને મહેસાણા પોલીસના કમાન્ડ કંટ્રોલરૂમની ટીમેં સીસીટીવી ફૂટેજની મદદથી શોધીને પરત અપાવી હતી. ઊંઝા તાલુકાના ઉનાવા ગામે રહેતો ચંદ્રકાંત નટવરલાલ સેનમા નામનો યુવક અમદાવાદના ચાંદખેડાથી ઉનાવા ઘરે પરત આવવા માટે ગુરુવારના રોજ એક પેસેન્જર ગાડીમાં બેઠો હતો બપોરે 2:00 વાગ્યાની આસપાસ મહેસાણાની મોઢેરા ચોકડી પર તે ગાડીમાંથી ઉતર્યા બાદ પોતાની પત્નીની બે સાડીઓ, સોનાની ચુની અને સામાન ભરેલી બેગ તે ગાડીમાં જ ભૂલી ગયો હતો. પોતાની બેગ ખોવાઈ જતા તેણે મહેસાણા પોલીસની નેત્રમ શાખાનો સંપર્ક કરતા શહેરના પોલીસના તમામ સીસીટીવી જ્યાંથી કંટ્રોલ થાય છે તે કમાન્ડ કંટ્રોલરૂમના પી.એસ.આઇ સુથાર અને તેમની ટીમે સીસીટીવી ફૂટેજની મદદથી મહેસાણા આવવા માટે ચંદ્રકાંત જે ગાડીમાં બેઠો હતો. તેને શોધી કાઢી હતી અને જી.જે. 35 એચ 2762 નંબરની અરટીકા કારના માલિકનું સરનામું અને નંબર શોધી પોલીસની ટીમે તેનો સંપર્ક કરતા ગાડીમાં જ બેગ હોવાની ખબર પડી હતી
ઉગ્ર વિરોધ:મનપાના વિકાસ નકશા સામે ફતેપુરા ગ્રામજનોમાં ઉગ્ર વિરોધ
મહેસાણા મહાનગરપાલિકાનો પ્રાથમિક વિકાસ નક્શો જાહેર થતાં જ ગ્રામ્ય વિસ્તારોમાં અસંતોષ ફાટી નીકળ્યો છે. ખાસ કરીને ફતેપુરા ગામના ખેડૂતોમાં મોટા રોડ અને ઇન્ડસ્ટ્રીયલ ઝોનને લઈને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ગુરુવારે ગ્રામજનોએ એકજૂટ થઈ મહાનગરપાલિકા અને કલેક્ટર કચેરીએ વાંધા રજૂ કર્યા હતા. ફતેપુરા ગામના અલ્પેશભાઈ પટેલ સહિતના ખેડૂતોનું કહેવું છે કે વર્ષોથી તેઓ ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. તેમની જમીન પાલોદર ગામના રેકોર્ડમાં દાખલ છે. ફતેપુરા અને પાલોદરના સર્વે નંબરો મનપા વિસ્તારમાં સામેલ થતા વિકાસ નકશામાં 24 થી 30 મીટરના મોટા રોડ અને ઇન્ડસ્ટ્રીયલ ઝોન દર્શાવવામાં આવ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, આ યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે તો ખેડૂતોને ભારે નુકસાન થશે. અંદાજે 40 ટકા જમીન કપાતમાં જતી રહે તેવી શક્યતા છે, જેના કારણે ખેતીલાયક જમીન ઘટી જશે અને જીવનનિર્વાહ પર અસર પડશે.
ભાસ્કર એક્સક્લુસિવ:મનપા ચૂંટણીમાં ધો. 4થી પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારો મેદાનમાં
મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીમાં 13 વોર્ડની 47 બેઠકો માટે ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. સોસાયટીઓ અને વિસ્તારોમાં ફરીને મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. 122 ઉમેદવારોએ દાખલ કરેલા સોગંદનામા અનુસાર, સૌથી ઓછું ધોરણ 4 સુધીનું શિક્ષણ ધરાવતા ઉમેદવારથી લઈને અનુસ્નાતક (પોસ્ટ ગ્રેજ્યુએટ) સુધીનું ઉચ્ચ શિક્ષણ ધરાવતા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ઉચ્ચ શિક્ષણ ધરાવતા 14 ઉમેદવારોમાં એમ.એ., એમ.કોમ., ઇજનેરી અને એમ.બી.એ. જેવા અભ્યાસક્રમનો સમાવેશ થાય છે, તેમાં 4 ઉમેદવારોએ બી.એડ. અને 3 ઉમેદવારોએ એલ.એલ.બી. (એડવોકેટ)નું શિક્ષણ મેળવ્યું છે. આમાં ભાજપના 8, કોંગ્રેસના 4 અને આપના 2 ઉમેદવાર છે. બીજી તરફ, ભાજપના બે ઉમેદવારો ધોરણ 10 નાપાસ છે, જ્યારે એક મહિલા ઉમેદવારએ પોતાના સોગંદનામામાં પોતે અભણ હોવાનું દર્શાવ્યું છે. ત્રણેક ઉમેદવારના સોગંદનામામાં સ્પષ્ટ શિક્ષણ લાયકાત જોવા મળતી નથી. મહાનગરપાલિકાની ચૂંટણીમાં સૌથી વધુ 29 ઉમેદવારો ધોરણ 10 પાસ છે. ત્યારબાદ 25 ઉમેદવારો સ્નાતક (બી.એ., બી.કોમ., બી.એસસી., બી.સી.એ.) છે, જેમાં 3 અંડરગ્રેજ્યુએટનો પણ સમાવેશ થાય છે. કુલ 5 ઉમેદવારો ITI અથવા ડિપ્લોમા પાસ છે. તેમાં કોંગ્રેસના મીનાબેન ચૌધરીએ કોસ્ચ્યુમ ડિઝાઇન અને ડ્રેસ મેકિંગમાં ડિપ્લોમા કર્યું છે. ભાજપના ભવાનીસિંહ પ્રિન્સે સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યો છે. વોર્ડ નં. 3, 11 અને 12માં એક-એક એલ.એલ.બી. થયેલા ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં છે. 40 વર્ષથી ઓછી વયના 46 યુવા ઉમેદવારોમેદાનમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં યુવા ઉમેદવારોનું પ્રમાણ પણ નોંધપાત્ર છે. વિવિધ પક્ષોમાંથી કુલ 46 ઉમેદવારો 40 વર્ષથી ઓછી ઉંમરના છે, જે કોર્પોરેશનના આગામી 5 વર્ષના શાસન માટે મેદાનમાં ઉતર્યા છે. સૌથી નાની ઉંમરના ઉમેદવાર 22 વર્ષના ચિરાગસિંહ ઝાલા છે, જ્યારે સૌથી વધુ ઉંમરના ઉમેદવાર 67 વર્ષના શાન્તાબેન મકવાણા છે.
નગરપાલિકાથી લઇ જિલ્લા પંચાયત સુધીની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતના 4 ઉમેદવારો ચર્ચામાં છે. એક તરફ અરવલ્લી જિલ્લા પંચાયતની બેઠક પરથી કરોડોની મિલકત અને હથિયારો ધરાવતા કાયદાના સ્નાતક નસીબ અજમાવી રહ્યા છે, તો બીજી તરફ બહુચરાજીમાં જેમના નામે એક મકાન પણ નથી અને માત્ર 2 ધોરણ ભણેલા છે તેવા સામાન્ય ઉમેદવારો પણ લોકશાહીના પર્વમાં સહભાગી બન્યા છે. 1. રમેશચંદ્ર પોપટલાલ ભીલ (મહેસાણા કમલમ કાર્યાલયના સેવક) 2. સુથાર નેહાબેન પ્રવીણભાઈ (સિંગર અને ઇન્ફ્લુએન્સર) 3. કાગસિયા સન્સીબેન લક્ષ્મણભાઈ (બહુચરાજીમાં બંગડીની દુકાન) 4. નિનામા મનોજકુમાર લલ્લુભાઈ (પૂર્વ આઇપીએસ, અરવલ્લી જિલ્લા પંચાયતની ઓડ બેઠક)
RTE પ્રવેશ:RTEની 4095 અરજીમાંથી 2575 મંજૂર, 696 કેન્સલ અને 427 પેન્ડિંગ
ખાનગી શાળાઓમાં નબળા અને વંચિત વર્ગના બાળકો માટે મફત શિક્ષણના કાયદા હેઠળ ધોરણ-1માં પ્રવેશ માટે ગુરુવારે બપોર સુધીમાં 4095 ઓનલાઈન અરજીઓ થઈ હતી. તેમાં ચકાસણી બાદ 2575 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જ્યારે પૂરતા દસ્તાવેજોના અભાવે અથવા અપૂરતી માહિતીના કારણે 397 અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે. ડુપ્લિકેટ 696 અરજીઓ કેન્સલ કરવામાં આવી છે અને હજુ 427 અરજીઓ ચકાસણી હેઠળ પેન્ડિંગ છે. આજે ઓનલાઈન અરજીનો અંતિમ દિવસ હોવાથી અરજીઓમાં વધારો થવાની શક્યતા છે. સ્તાવેજોની ચકાસણીમાં કેટલાક વાલીઓએ હાલના રહેઠાણના બદલે અન્ય સ્થળનો ભાડા કરાર દર્શાવ્યો હતો, આવકનો દાખલો અન્ય સ્થળનો હતો અથવા આવક મર્યાદાથી વધુ હતી, તેમજ પૂરતા દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાના કારણે અરજીઓ ચકાસણી બાદ રિજેક્ટ કરવામાં આવી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ જણાવ્યું કે, ઓનલાઈન ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા પડે છે. ગુરુવાર બપોર સુધી પોર્ટલમાં 4095 ઓનલાઈન અરજીઓ નોંધાઈ હતી. નિયુક્ત ચકાસણી ટીમ દ્વારા ફોર્મ અને દસ્તાવેજોની તપાસ ચાલુ છે. જેમાં તમામ માહિતી અને દસ્તાવેજો યોગ્ય જણાય તેવી 2575 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. એક વખત અરજી નામંજૂર થયા બાદ કેટલીક વાર ફરીથી અરજી કરવામાં આવે છે, જેના કારણે આવી ખામીવાળી અરજીઓ ડુપ્લિકેટ ગણાઈને કેન્સલ કરવામાં આવે છે. આવી 696 અરજીઓ કેન્સલ થઈ છે. જ્યારે પૂરતા દસ્તાવેજો ન હોવા અથવા ખામી હોવા જેવી સ્થિતિમાં 397 અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે. રોજના 20 સ્લોટ વધતા ભાડા કરારની પ્રક્રિયા સરળમાલિકીનું મકાન ન ધરાવતા વાલીઓને બાળકના ધોરણ-1 પ્રવેશ માટે રજિસ્ટર્ડ ભાડા કરાર રજૂ કરવો જરૂરી છે. સબ-રજિસ્ટ્રાર કચેરીમાં અગાઉ સવારના 74 અને બપોર પછીના 32 સ્લોટ હાઉસફુલ રહેતા હોવાથી વાલીઓને મુશ્કેલી પડી રહી હતી. આ મુદ્દે અહેવાલ પ્રકાશિત થયા બાદ છેલ્લા ચાર દિવસથી દરરોજ સવારે 74 અને બપોર પછી 52 સ્લોટ કરાયા છે એટલે 20 સ્લોટનો વધારો કરાયો છે, જેના કારણે વંચિત વાલીઓએ એપોઇન્ટમેન્ટ મેળવી ભાડા કરાર કરાવ્યા છે. સબ-રજિસ્ટ્રાર કચેરીના સૂત્રોએ જણાવ્યું કે, આશરે 20 જેટલા ભાડા કરારો નોંધાયા છે.
ભુજ વોર્ડ નંબર - 11:બગીચા પુનર્જીવિત કરવા સિવાય ‘ઓલ વેલ’
ભુજનો વોર્ડ નંબર 11ને શહેરનો સૌથી વિશાળ વિસ્તાર છે, જેમાં નાની-મોટી મળી કુલ 68 જેટલી કોલોનીઓનો સમાવેશ થાય છે. વિસ્તારના વિકાસના દાવાઓ વચ્ચે કેટલીક મહત્વપૂર્ણ સુવિધાઓ હજુ અધૂરી કે બિનઉપયોગી હાલતમાં હોવાનું સ્થાનિકોમાંથી જાણવા મળે છે. ખાસ કરીને પ્રમુખસ્વામી નગરનો તોરલ ગાર્ડન, બાયો ડાયવર્સિટી પાર્ક અને પુનિત વન જેવી જગ્યાઓ યોગ્ય રીતે વિકસિત થઈ અને જાળવણી સાથે જીવંત બને તો આસપાસના હજારો નાગરિકોને તેનો સીધો લાભ મળી શકે છે. આ વોર્ડમાં આગામી ચૂંટણીમાં ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, જેના કારણે ચૂંટણીનું કોઈ ખાસ વાતાવરણ જોવા મળ્યું નથી. પૂર્વ નગર સેવિકા બિંદીયા ઠક્કરે જણાવ્યું હતું કે ચંગલેશ્વર વિસ્તારમાં બનાવવામાં આવેલો અંડરગ્રાઉન્ડ ટાંકો શરૂ થતા પાણી વિતરણમાં સુધારો થયો છે. ઉપરાંત, સફાઈ વ્યવસ્થા સંતોષકારક રીતે ચાલે છે અને માર્ગો તેમજ ડ્રેનેજના કેટલાક કામો પણ પૂર્ણ થયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે યુડીએપી, જનભાગીદારી યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે 9.12 કરોડ રૂપિયાના બાંધકામના કામો થયા છે. હરીપર, આઇયા નગર, વ્હોરા કોલોની અને શિવકૃપા નગર જેવા વિસ્તારોમાં ડ્રેનેજ સહિતના વિવિધ વિકાસ કામો કરવામાં આવ્યા છે. જોકે, ચંગલેશ્વર સામે આવેલા ઓવર હેડ ટેન્કનું કામ સીમા સુરક્ષા દળની મંજૂરીના અભાવે અટવાઈ ગયું છે. બીજી તરફ, સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરતાં અનેક સમસ્યાઓ પણ સામે આવી છે. ખાસ કરીને સ્ટ્રીટ લાઈટોમાંથી 70 ટકા કરતાં વધુ લાઈટો બંધ હાલતમાં હોવાનું લોકોનો આક્ષેપ છે. માર્ગોના નવીનીકરણ દરમિયાન ફૂટપાથ તોડી નાખવામાં આવ્યા હોવાના કારણે ચાલતા લોકો માટે મુશ્કેલીઓ ઊભી થઈ છે. સાથે જ, કરવામાં આવેલા કામોની ગુણવત્તા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે અને ચોમાસામાં આ કામોની હકીકત બહાર આવશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આમ, વોર્ડ નંબર 11માં વિકાસના દાવાઓ વચ્ચે હજુ પણ કેટલીક અધૂરી કામગીરી અને સમસ્યાઓ યથાવત રહેતાં નાગરિકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. વિસ્તારમુન્દ્રા રિલોકેશન સાઈટ, સન બંગ્લોઝ, ચંગલેશ્વર સોસાયટી, આઈયા નગર, નીલકંઠ નગર, લાયન્સ નગર, જિલ્લા પંચાયત ક્વાર્ટર, સરદાર પટેલ નગર, હરીપર, કોવઇ નગર, નૂર કોલોની, અરિહંત નગર, સિલ્વર પાર્ક, પ્રમુખ સ્વામી નગર મતદારોની સંખ્યા
રાજકોટ ખાતે ચાલી રહેલી જય હિંદ ટ્રોફી ત્રિદિવસીય ટુર્નામેન્ટમાં જામનગર જિલ્લા ક્રિકેટ ટીમે પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શનને યથાવત રાખતા વધુ એક ભવ્ય વિજય નોંધાવ્યો છે. જુનાગઢ જિલ્લા ટીમ સામે રમાયેલી મેચમાં જામનગરની ટીમે વિજય મેળવીને સેમિફાઈનલમાં પહોંચી છે. ખંઢેરીના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે યોજાયેલી આ મેચમાં જામનગરની ટીમે પ્રથમ ઈનિંગમા 196 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. જેમાં મિહીર જોશીએ 51 રનની અડધી સદી ફટકારી, વિશ્વરાજ જાડેજાએ 34 અને રોહન મથ્થરે 25 રનનો નોંધપાત્ર ફાળો આપ્યો હતો. બીજી ઇનિંગમા વિશ્વરાજ જાડેજા 143 રન ફટકાર્યા હતા, અને પુષ્કર કુમારે 66 રન કરી મોટો સ્કોર કર્યો હતો. જવાબમાં જુનાગઢની ટીમ જામનગરના બોલરો સામે ટકી શકી નહોતી અને 170 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. પ્રથમ ઈનિંગમા જામનગર તરફથી બોલિંગમાં વિશ્વરાજ જાડેજાએ 17 ઓવરમાં 3 મેડન સાથે 37 રન આપી 4 વિકેટ ઝડપી હતી. અને બીજી ઇનિંગમાં જય રાવલિયાએ પણ શાનદાર પ્રદર્શન કરી 9 ઓવરમાં 35 રન આપી 5 વિકેટ ઝૂંટવી, જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. આ જીત સાથે જામનગરની ટીમે ટુર્નામેન્ટના સેમિફાઇનલમાં પોતાની જગ્યા મજબૂત બનાવી છે. હવે આગામી મુકાબલો 20 મેના રોજ ભાવનગર જિલ્લા ટીમ સામે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાશે. ટીમના આ ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનના હોદ્દેદારો દ્વારા ટીમ અને ખેલાડીઓનો ઉત્સાહ વધારવામાં આવી રહ્યો છે. વર્ષોથી ખેલાડીઓ કોચ મહેન્દ્રસર ચૌહાણ પાસેથી તાલીમ મેળવી રહ્યા છે,
બેદરકારી:જી.જી.હોસ્પિટલમાં ટેકનિકલ ખામીથી એક્સ-રે મશીન ત્રણ દિ’થી બંધ, દર્દીઓને ભારે હાલાકી
જામનગર શહેરની જી.જી.હોસ્પિટલ ફરી એક વખત અવ્યવસ્થાને કારણે ચર્ચામાં આવી છે. હોસ્પિટલમાં એક્સ-રે મશીનમાં ખામી સર્જાતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દૈનિક હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય ત્યારે આવી ખામી આરોગ્ય સેવાઓ પર સીધી અસર કરે છે. જી.જી.હોસ્પિટલમાં રોજના 3 થી 4 હજાર જેટલા દર્દીઓ માટેની ઓપીડી હોય છે. જેમાંથી આશરે 1000 થી 1200 જેટલા દર્દીઓને એક્સ-રેની જરૂર પડી રહી છે. થોડા દિવસો પહેલા હોસ્પિટલના 11 નંબર રૂમમાં આવેલ એક્સ-રે મશીન અચાનક બંધ થઈ જતા કામગીરી ઠપ થઈ ગઈ હતી. હોસ્પિટલ તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા હોસ્પિટલની એસબીઆઈ એટીએમથી આગળ નવી સોનોગ્રાફીની સામે 2 નંબરમાં ઉભી કરવામાં આવી છે. ત્યાં ત્રણ જેટલા એક્સ-રે મશીનો હોવાનું ટેકનિશિયનો જણાવે છે, તેમ છતાં દર્દીઓની ભીડ વધુ રહેતી હોવાથી કલાકો સુધી દર્દીઓને એક્સ-રે માટે રાહ જોવી પડે છે. તેમાં પણ ઇમરજન્સી દર્દીઓ માટે આ પરિસ્થિતિ વધુ કઠિન બની રહી છે. આ હાલતમાં ઘણા દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં જવા મજબૂર બની રહ્યા છે, જેના કારણે તેઓને વધારાનો આર્થિક બોજ પણ સહન કરવો પડી રહ્યો છે. જેથી આ સમસ્યા વહેલી તકે ઉકેલાય તેવી દર્દીઓની લાગણી છે. બે દિવસમાં એક્સ-રે મશીન રીપેર થઈ જશે... જી.જી.હોસ્પિટલના 11 નંબરના એક્સ-રે મશીનમાં ખામી સર્જાતા દર્દીઓને હાલાકી ગઈ છે, પરંતુ તેના માટે વૈકલ્પિક વ્યવસ્થા 2 નંબરમાં કરવામાં આવી છે. હાલ આ ખરાબ થયેલ મશીન રીપેરીંગ માટે કંપનીના કારીગરો આવ્યા હતા. બે દિવસમાં એક્સ-રે મશીન ફરી શરૂ થઈ જશે. - ટેકનીશિયન
સારવાર:જામનગરમાં 108ની ટીમ બની દેવદૂત, માતા-પુત્રના જીવ બચાવ્યા
જામનગર શહેરના ઈન્દિરા માર્ગ પર આવેલા વિસ્તારમાં રહેતી 35 વર્ષીય શોભનાબેન ડાભીને અચાનક પ્રસુતિની પીડા શરૂ થતા પરિવારજનોએ તાત્કાલિક 108 ઇમર્જન્સી સેવાને કોલ કર્યો હતો. કોલ મળતા જ જામનગર સમર્પણ ચોકડી ખાતે ડ્યુટી પર હાજર EMT દિપ્તિ મારું અને પાયલોટ વજસી જોગલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સ્થળ પર પહોંચતા જાણવા મળ્યું કે મહિલાની પીડા ખૂબ જ વધી ગઈ હોવાથી હોસ્પિટલ સુધી પહોંચાડવા સમય નહોતો. પરિસ્થિતિની ગંભીરતા સમજીને 108 ટીમે રસ્તામાં જ એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવવાનો નિર્ણય લીધો. ટીમના સતર્કતાથી એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક પ્રસુતિ કરાવીને બાળકનો જન્મ કરાવ્યો હતો. બાદમાં માતા-પુત્રને તાત્કાલિક જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ડૉક્ટરોએ તપાસ કર્યા બાદ બંને સ્વસ્થ હોવાનું જાહેર કર્યું હતું. આ ઘટનાએ 108 ટીમની કાર્યક્ષમતા અને માનવતાનો ઉત્તમ દાખલો પૂરું પાડ્યો છે. પરિવારજનોએ 108 ટીમ દેવદૂત સમાન બની હતી.
વાતાવરણ:શહેરમાં ગરમીનો પારો નીચે સરકીને 34.5 ડિગ્રી નોંધાયો
જામનગર હવામાનમાં ફેરફાર નોંધાયો છે અને ત્રણ દિવસમાં સાડા ત્રણ ડિગ્રીના ઘટાડા સાથે 34.5 ડિગ્રીએ પહોંચ્યો છે. તો લોકોએ ગરમીમાં રાહત અનુભવી છે. છેલ્લા ચોવીસ કલાકમાં દોઢ ડીગ્રીનો મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાનમાં અચાનક આવેલા ફેરફારના કારણે ગત મંગળવારે મહત્તમ તાપમાન 38 ડિગ્રી મૌસમનું સૌથી ઉંચુ તાપમાન નોંધાતા લોકો ગરમીમાં અકળાઈ ઉઠ્યા હતા. જે બાદ સડસડાટ બીજા દિવસે બે ડિગ્રીનો ઘટાડો અને ત્રીજા દિવસે દોઢ ડિગ્રીના ઘટાડા સાથે ત્રણ દિવસમાં સાડા ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. ગુરૂવારે સવાર ચોવીસ કલાક પુરા થતાં મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી અને ભેજનું પ્રમાણ 72 ટકા નોંધાયું છે. તો પવનની ગતિ પ્રતિ કલાકના 15 થી 20 કી.મી.ની ઝડપે ફુંકાયો છે. ગરમીના પારામાં થયેલા ઘટાડાથી લોકોએ ગરમીમાં રાહત અનુભવી છે. તો બીજી બાજુ ભારે પવનના કારણે બપોરના સમયે ગરમ પવન ફુંકાતા ગ્રામ્ય વિસ્તારોમાં થોડી ગરમીનો અનુભવ થયો હતો. પરંતુ હાલ ગરમીનો પારો નીચે સરકરતા લોકોને ગરમીમાં રાહત મળી છે. સપ્તાહના પ્રારંભે ચાલુ સિઝનમાં સૌથી ઉંચુ તાપમાન નોંધાતા મહત્તમ પારો 38.5 ડિગ્રીએ પહોંચ્યો હતો. જે બાદ ત્રણ દિવસથી તાપમાન ઘટ્યું છે.
હુકમ:કાલાવડ નાકા બહાર રીવર બ્રીજ પર તમામ વાહનો આજથી બંધ
જામનગર શહેરના કાલાવડ નાકા બહાર રંગમતી નદી ઉપર હયાત રીવર બ્રીજને ડીમોલેશન કરી નવો ફોર લેન રીવર બ્રીજ બનાવવાની કામગીર અંતર્ગત હયાત બ્રીજ ડિમોલીશન તથા નવો ફોર લેન રીવર બ્રીજ બનાવવાની કામગીરી અનુસંધાને રંગમતી નદી પરનો હયાત રસ્તો સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી આગામી તા.17 એપ્રિલથી તા.15 ઓકટોમ્બર સુધી દરમિયાન તમામ વાહન વ્યવહાર બંધ રાખવા મ્યુ.કમિશનર ડી.એન.મોદીએ હુકમ કર્યો છે. હુકમનો ભંગ કરનારા સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. મ્યુ.કમિશનરે બહાર પાડેલી નોટીસમાં ટુ-વ્હીલર તથા તમામ પ્રકારના નાના વાહનો માટેની વૈકલ્પિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં રંગમતી નદી ઉપરનો હયાત રીવર બ્રીજ પરનો મુખ્ય માર્ગ બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે રંગમત નદીમાં બનાવવમાં આવેલ સર્વિસ રોડ ખુલ્લો રહેશે. સર્વિસ રોડથી કલ્યાણ ચોક થઈ ટુ-વ્હીલર્સ તથા તમામ પ્રકારના નાના વાહનોની ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ચાલુ રહેશે. જ્યારે ભારે વાહન માટે જામનગર કાલાવડ રોડની વૈકલ્પિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા નાગનાથ જંકશનથી સુભાષ બ્રીજ થઈ અન્નપુર્ણા મંદિર થઈ મહાપ્રભુજી બેઠક રોડ થઈ ઠેબા બાયપાસ જંકશન તરફ ચાલુ રહેશે. તેમજ મોરકંડા-જામનગર રોડની વૈકલ્પિક ટ્રાનસપોર્ટ વ્યવસ્થા મોરકંડાથી ચોકડીથી ઉપર મૂજબના રૂપ પ્રમાણે ચાલુ રહેશે.
ફરિયાદ:પુત્ર સાથેના ઝઘડામાં એસટીના કર્મચારી પર 3 શખસોનો હુમલો
જામનગર શહેરમાં પુત્ર સાથે થયેલા ઝગડાનો ખાર રાખીને પિતા અને એસટી ડ્રાઈવર ઉપર ત્રણ શખસોએ છરી વડે હુમલો કરીને હાથ-પગમાં ઈજા પહોંચાડીને નાશી છુટ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. વસઈ ગામમાં ધણશેરી ચોક, રામાપીરના મંદીરની બાજુમાં રહેતા હસમુખભાઈ નાગજીભાઈ ચૌહાણ (ઉ.વ.50) નામના એસ.ટી.માં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે, અને તેમના પુત્ર સાથે અગાઉ આરોપીઓને બોલાચાલી થઈ હતી. જે બાબતે સમાધાન થઈ ગયું હતું. જે બાબતનો ખાર રાખીને ગત તા.15ના રોજ એસ.ટી.ડ્રાઈવર હસમુખભાઈ શહેરના અંબર ચોકડીથી આગળ કાર કેર સર્વીસ સ્ટેશન પાસેથી પસાર થતા હતા. ત્યારે આરોપી મીત સુનીલભાઈ સાગઠીયા, પ્રીન્સ દિલીપભાઈ વરણ અને અતુલ નામના શખસોએ બાઈક રોકાવી હતી અને તમે હર્ષના પિતા છો ને તેમ કહીને ત્રણેય શખસોએ છરી વડે હુમલો કર્યો હતો. જમણા પગના જાંગ પર ઈજા કરી ત્રણ ટાંકા તથા કમરથી નીચેના ભાગે ઈજા પહોંચાડી હતી. તેમજ આ બનાવમાં ડાબા પગમાં, હાથની કોણીના ભાગે અને ખંભા પર છરીના છરકા મારીને લોહીલૂહાણ કરી દીધો હતો. એસટી ડ્રાઈવર નીચે પડી જતાં અને બુમો પાડવા લાગતા લોકો એકઠા થઈ ગયા હતા. ત્રણેય શખસો ત્યાંથી નાશી છુટ્યા હતા. જે બાદ પ્રૌઢના સંબંધી આવી જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે અંગેની એસ.ટી.કર્મચારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગેની વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.
વિરોધ સામે ભાજપની નવી સ્ટ્રેટજી:ફેરણીમાં લોકો રજૂઆત અને વિરોધ કરે ત્યારે ઢોલ નગારા શરૂ કરી દેવાના
કોર્પોરેશનની ચૂંટણી 26 એપ્રિલના રોજ યોજાવાની છે. બંને મુખ્ય પક્ષો ભાજપ-કોંગ્રેસ પ્રચારમાં લાગી ગયા છે. બીજી તરફ સત્તાધારી પક્ષ ભાજપના ઉમેદવારો જયાં પણ ચૂંટણી પ્રચારમાં જાય છે ત્યાં તેમણે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યા છે. જેના પગલે વિરોધ સામે ભાજપની નવી સ્ટ્રેટજી બનાવી છે. જેમાં ભાજપના ઉમેદવારો જયારે ફેરણીમાં જાય અને જો લોકો રજૂઆત કે વિરોધ કરે ત્યારે ઢોલ નગરા શરૂ કરી દેવાના જેથી લોકોનો અવાજ દબાઇ જાય. છેલ્લા ત્રણ દાયકાથી ભાજપનું શાસન છે ત્યારે આવનારી સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓ ભાજપ માટે લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થઇ રહી છે. સતત એકહથ્થુ શાસન ભોગવી રહેલા પક્ષને આ વખતે લોકોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં તો શહેરની સૌથી વધારે દુદર્શા થઇ છે. શહેરના દરેક વિસ્તારમાં પાણી, ડ્રેનેજ, રસ્તાની સમસ્યાથી શહેરીજનો પરેશાન છે. જેના પગલે ભાજપના ઉમેદવારો જયારે પણ ફેરણીમાં આવે છે ત્યારે વોર્ડમાં રહેતા નાગરીકો પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ભાજપના ઉમેદવારોના વિરોધનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. જેના પગલે જો કોઇ પણ વ્યક્તિ રજૂઆત કરે કે રોષ ઠાલવે તેવા સમયે ફેરણીમાં હાજર ઢોલ નગારા વગાડવાની શરૂઆત કરી દેવામાં આવે છે. ઢોલ નગારા વાળાને સૂચના અપાઇ છે કે જેવો વિરોધ થાય તેની સાથે જ ઢોલ નગારા વગાડવાના શરૂ કરી દેવાના. ઢોલ નગારાના અવાજમાં લોકોનો અવાજ દબાવાઇ રહ્યો છેરોડ, રસ્તા, ઓછા પ્રેશરથી પાણી, ગંદુ પાણી, વરસાદમાં ઘરોમાં પાણી ભરાવું, ઠેર ઠેર ખાડા, ભૂવા, રખડતા ઢોર, ટ્રાફીક સહિતની સમસ્યાથી ત્રસ્ત થઇ ગયેલા શહેરીજનોનો આવાજ ઢોલ નગરામાં દબાવામાં આવી રહ્યો હોવાની લાગણી લોકો વ્યકત કરી રહ્યા છે. ત્યારે આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં ઢોલ નગરામાં દબાયેલા નાગરીકોના અવાજનો પડઘો પડે તેવી શકયતાઓ છે.
કોર્ટે બૂટલેગરના 2 દિવસના રિમાન્ડ મંજૂર:કુખ્યાત બૂટલેગર સુનિલ અદો, પલ્લી 2 દિવસના રિમાન્ડ પર
હરિયાણાના ગુરુગ્રામથી SMCએ ઝડપી પાડેવા દારૂના કૌભાંડના સૂત્રધાર સુનિલ અદો અને સાગરીત પલકેશ ઉર્ફે પલ્લીને વડોદરાની અદાલતમાં રજૂ કરાયા હતા.પોલીસે 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જેની સુનાવણી બાદ કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. નંદેસરી GIDC વિસ્તારમાં 2 ફેબ્રુઆરીએ SMCએ દરોડો પાડ્યો હતો. જેમાં 43 લાખના દારૂ સહિત વાહનો, મોબાઇલ અને રોકડ મળી 1.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં 6 આરોપી ઝડપાઈ ગયા હતા, જ્યારે 8 ફરાર થયા હતા. ગુનામાં સુનિલ અદો,લાલુ સિંધી સહિત અન્ય ફરાર આરોપીઓ સંડોવાયેલા હતા. ભાસ્કર ઇનસાઇડશહેર પોલીસને વગર મહેનતે આરોપી મળ્યોબે દિવસ પહેલાં SMCએ તપાસ કરી મોબાઇલ સર્વેલન્સના આધારે હરિયાણાના ગુરુગ્રામ પાસે આવેલા રેવાડીમાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી દારૂનો સપ્લાયર ફરાર આરોપી સુનિલ અદો અને તેનો ડ્રાઈવર પલ્લી ઝડપાયો હતો. તે સમયે ફ્લેટમાં હાજર સંજય ઉર્ફે અન્નો કિશોરસિંગ સિંગ પણ ઝડપાયો હતો. તપાસ દરમિયાન જવાહર નગર પોલીસ મથકે નોંધાયેલા દારૂના કેસમાં એ વોન્ટેડ હોવાનું ખૂલ્યું હતું.જેને SMC ગાંધીનગર લઈ આવી હતી. જેનો શહેર પોલીસે કબજો મેળવી અત્રે લાવી છે.
કાર્યવાહી:જૂનાગઢ મહાનગરપાલિકા એન્જિનિયર સહિત 3 વિરુદ્ધ એટ્રોસિટીનો ગુનો નોંધાયો
મનપામાં કામસર ગયેલા મધુરમના આધેડ સાથે ઝપાઝપી કરી જાતિ પ્રત્યે અપમાનિત કરવાના મામલે પોલીસે ફરિયાદ આધારે પોલીસે મનપાના એન્જિનિયર સહિત 3 સામે એટ્રોસિટીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મધુરમ બાયપાસ રોડ પર આવેલ વૃંદાવનનગરમાં રહેતા કરશનભાઈ ઘેલાભાઈ સોલંકી (ઉં.વ. 54)ની ફરિયાદ અનુસાર ગત સોમવારે સવારે મહાનગરપાલિકાની બાંધકામ શાખામાં ગયા હતા જ્યાં તેઓને એન્જિનિયર મશરૂભાઈનું કામ હોય પરંતુ તે ત્યાં હાજર ન હતા અને બાંધકામ ઓફિસમાં એન્જિનિયર પાનસુરીયાભાઈ હાજર હતા અને બીજો એક માણસ અગરબત્તી કરતો હતો. સવારે 11 વાગ્યા હોવા છતાં ઓફિસમાં કોઈ હાજર ન હોવાથી કરસનભાઈએ ત્યાં વિડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. ત્યાં હાજર એક વ્યક્તિ સાથે સમયસર કામ ન થવા બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ, એન્જિનિયર પાનસુરીયાભાઈ અને તેમની સાથેના અન્ય બે વ્યક્તિઓ ત્યાં આવી પહોંચ્યા હતા. આ ત્રણેય શખ્સોએ 'કેમ અવાર-નવાર અહીં આવી જાવ છો?' તેમ કહી જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા અને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ હુમલામાં કરસનભાઈને ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટના અંગે બુધવારે રાત્રે બી ડિવિઝન પોલીસે આધેડની ફરિયાદ લઈ એન્જિનિયર પાનસુરીયા અને તેની સાથેના બે માણસો વિરુદ્ધ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી કરી હતી. દરમિયાન વધુ તપાસ એસસી એસટી સેલના ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે હાથ ધરી હતી.
અધિકારીઓને સોફ્ટવેર મામલે શંકા:વેરા પહોંચમાં મનપાએ છપાવ્યું કે, ભૂલ ચૂક માફ
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા અત્યારે ટેક્સ લેવામાં આવતો નથી. કારણ કે નવી સરકારી જીપીસીબી કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ કંપની હજુ સુધી ઓનલાઇન વેરો કરી શકી નથી. જેના લીધે મહાનગરપાલિકાને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. આ અંગેનો અહેવાલ ભાસ્કરમાં આવ્યા બાદ મનપાના અધિકારીઓએ જે વેરાપોળ છપાવી છે તેમાં એવો ઉલ્લેખ કર્યો છે કે મનપા એક્ટ મુજબ જો પૈસાની લેતી દેતી માં કોઈ ગડબડ થઈ તો તેનું રિફંડ ગ્રાહકને મળી જશે. એટલે અત્યારથી જ અધિકારીઓને આ સોફ્ટવેર મામલે શંકા છે. આ સોફ્ટવેરમાં એવું થવાનું છે કે જો વધારાના પૈસા કપાઈ ગયા તો રિફંડ લેવા માટે મનપાની કચેરીએ ધક્કા ખાવા પડશે. અને જો પૈસા ઓછા ઓછા ભર્યા અને કોઈનું ધ્યાન ન ગયું તો જૂનાગઢ મહાનગરપાલિકા ની તિજોરી ને કરોડોનું નુકસાન જશે.
તંત્ર એલર્ટ:બાળલગ્ન અટકાવવા તંત્ર મેદાને ટીમ બનાવી, નંબરો પણ જાહેર કર્યા
જૂનાગઢ જિલ્લાને બાળલગ્નથી મુક્ત કરવા માટે આગામી દિવસોમાં આવતા શુભ દિવસો તેમજ અખાત્રીજને લઇ તંત્ર એલર્ટ થઇ તાલુકા મુજબ ટીમ બનાવી, ટોલફ્રી નંબરો જાહેર કર્યા છે. અખાત્રીજ તથા અન્ય શુભ દિવસોમાં મોટા પ્રમાણમાં લગ્નોત્સવ યોજાતા હોય છે. આવા પ્રસંગોએ ખાસ કરીને બાળલગ્નો ન થાય તે માટે એક જાગૃતિ અભિયાન શરૂ કર્યુ છે. ખાસ કરીને લગ્નોના આયોજકો, સામાજિક આગેવાનો, રસોઇયા, મંડપ ડેકોરેશન, ફોટોગ્રાફરો, પંડીત સહિતનાઓને જો આવુ જણાય તો જાણ કરવા અથવા તો અટકાવવા ટકોર કરી છે. ઉપરાંત નાગરીકોને પણ પોતાના ગામ, વિસ્તાર કે મહોલ્લામાં બાળલગ્ન થતા જણાય તો સંપર્ક કરવા જણાવ્યુ છે. તંત્ર દ્વારા જિલ્લાના તાલુકા મુજબ ટીમની પણ ફાળવણી કરવામાં આવી છે એમ જણાવ્યુ છે. અહીં ફોન કરી શકાશે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી - 0285 2636546 ચાઇલ્ડ લાઇન - 1098 પોલીસ - 100 મહિલા અભયમ - 181 બાળલગ્નમાં પકડાય તો 1 લાખનો દંડ, 2 વર્ષ કેદની સજા બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ- 2006 મુજબ છોકરીના લગ્ન 18 વર્ષ પહેલા અને છોકરાના લગ્ન 21 વર્ષ પહેલા કરાવવા સજાપાત્ર ગુનો છે. આવા ગુન્હામાં રૂપિયા 1 લાખ સુધીનો દંડ અને બે વર્ષ સુધીની કેદની સજા છે. બાળલગ્ન કાનુની રીતે જ નહીં સામાજિક દુષણ પણ છેે. બાળકોના આરોગ્ય, શિક્ષણ અને ભવિષ્ય પર ગંભીર અસર પડે છે એમ જણાવ્યુ છે.
આત્મહત્યા:પતિ સાથે રકઝકથી ડુંગરપુરની મહિલાએ ઝેર પી જીવન ટૂંકાવ્યું
જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે સુભાષનગર -1માં રહેતા 45 વર્ષીય સવિતાબેન બહુકીયાને પોતાના ઘરની નાની બાબતોમાં પતિ સાથે રકઝક થતી હતી. આ બાબતનું લાગે આવતા સવિતાબેને બુધવારે સવારે પોતાના મકાને ઝેરી દવા ગટગટાવી લેતા તાત્કાલિક જૂનાગઢ ખાતેની કાનજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મહિલાએ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લઈ લેતા પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઈ હતી. મહિલાના મોતની ઘટના અંગે તાલુકા પોલીસે તેના પુત્ર રવિભાઈનું નિવેદન લઈ આગળની તપાસ હાથ ધરી હતી. અન્ય એક આવા કિસ્સામાં વંથલી તાલુકાના મોટા કાજલીયાળા ગામના 27 વર્ષીય જગદીશ મણવર નામના યુવકે બુધવારે સવારના સમયે ફોટા ના ઘરે મકાનની છતની હુકમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઈને મોતને મીઠું કરી લીધું હતું. મૃતકના મોટાભાઈ નવીનભાઈ એ કરતા તાલુકા પોલીસે દોડી જઈને યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી કાર્યવાહી કરી હતી. જગદીશભાઈના અંતિમ પગલાં પાછળનું કારણ બહાર નહિ આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
દર વર્ષે 17 એપ્રિલે વિશ્વ હિમોફિલિયા દિવસની ઉજવણી કરે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આ આનુવંશિક રક્તસ્ત્રાવની બીમારી વિશે લોકજાગૃતિ લાવવાનો છે. હિમોફિલિયા એ X-લિંક્ડ રિસેસિવ જિનેટિક રોગ છે, જેમાં લોહી જામવા માટે જરૂરી ફેક્ટર VIII અથવા IX ની ઉણપ હોય છે. આ રોગમાં નાની ઈજા પણ ગંભીર રક્તસ્ત્રાવમાં પરિણમી શકે છે, અને ક્યારેક સાંધા કે માંસપેશીઓમાં આંતરિક રક્તસ્ત્રાવ થવાથી લાંબા ગાળાનું નુકસાન થઈ શકે છે. જૂનાગઢ સ્થિત GMERS જનરલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે. હોસ્પિટલમાં દર મહિને અંદાજે 75 જેટલા દર્દીઓ OPDમાં સારવાર માટે આવે છે, જેમાંથી 25 દર્દીઓ નિયમિતપણે મુલાકાત લે છે. જેમાં 3 બાળકોનો પણ સમાવેશ થાય છે. ગયા મહિને જ હોસ્પિટલ દ્વારા દર્દીઓને 1,25,000 IU ફેક્ટર VIII અને 45,000 IU ફેક્ટર IX પૂરા પાડવામાં આવ્યા હતા. આ સાવચેતી જરૂરી હિમોફિલિયાના દર્દીઓએ ફૂટબોલ કે બોક્સિંગ જેવી જોખમી રમતોથી દૂર રહેવું જોઈએ અને હેલ્મેટ કે ગાર્ડ જેવા રક્ષણાત્મક સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. ઈજાના સમયે RICE પદ્ધતિ (આરામ, બરફ, કમ્પ્રેશન, એલિવેશન) અપનાવવી જરૂરી છે. જોકે આ જીવનભર રહેતી સ્થિતિ છે,
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:કેસર કેરીના રૂ. 2500 બોલાયા, આવક હવે વધશે
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા ઘણા દિવસથી કેસર કેરીની આવક શરૂ થઇ છે. જેમાં ગુરુવારે કેરીના 20 કિલોના ભાવ રૂપિયા 2500 બોલાયા હતા. વેપારીઓએ જણાવ્યુ કે, હજુ ધીમે-ધીમે કેરીની સિઝનની શરૂઆત થઇ છે. છેલ્લા ઘણા દિવસથી જૂનાગઢ યાર્ડમાં કેરીની આવક 20 થી 40 હજાર કિલોની થઇ રહી છે. જૂનાગઢ તેમજ આસપાસના વિસ્તારમાંથી અહી કેરી આવી રહી છે. જેમાં ગુરૂવારે કેસર કેરીની 42,500 કિલોની આવક સાથે મણના નીચા ભાવ રૂપિયા 1000 અને ઉંચા ભાવ રૂપિયા 2500 બોલાયા હતા. હજુ ધીમે-ધીમે આવકમાં વધારો થશે. 19મીથી તાલાલા યાર્ડમાં હરરાજી શરૂજૂનાગઢ યાર્ડ ધીમે-ધીમે કેરીની આવક શરૂ થયુ છે. પરંતુ જ્યાની કેરી વખાણાય તેવા તાલાલા માર્કેટીંગ યાર્ડમાં હજુ હરરાજી શરૂ થઇ નથી. યાર્ડમાં વેચાણ કરતા કમિશન એજન્ટ, વેપારીઓની મળેલી બેઠકમાં તારીખ 19 એપ્રિલને રવિવારથી કેરીની ખરીદી અને વેચાણ શરૂ કરાશે તેવો નિર્ણય લેવાયો હતો. તાલાલા યાર્ડમાં કેરીની આવક શરૂ થઇ જતા બજારોમાં આવક વધશે.
જૂનાગઢ મહાનગરપાલિકામાં ગત વર્ષોની વણવપરાયેલ ગ્રાન્ટ અને ચાલુ વર્ષની નવી ગ્રાન્ટ મળીને કુલ 30.18 કરોડ રૂપિયાના વિકાસ કામોનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. વર્ષ 2021-22 થી 2023-24 સુધીના ત્રણ વર્ષ દરમિયાન મનપાની તિજોરીમાં આશરે 7.09 કરોડ રૂપિયા વપરાયા વગરના પડી રહ્યા હતા. આ વણવપરાયેલ રકમમાં હવે વર્ષ 2024 25 અને 2026 ની નવી આવેલી 23.09 કરોડ રૂપિયાની ગ્રાન્ટનો ઉમેરો કરીને શહેરના વિવિધ પ્રોજેક્ટ્સને વેગ આપવા કમિશનર દ્વારા દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. તંત્ર દ્વારા તૈયાર કરાયેલા આંકડા મુજબ, વર્ષ 21 થી 24 ના વણવપરાયેલ 7.09 કરોડનો ઉપયોગ મુખ્યત્વે કચરાના નિકાલ અને અમૃત યોજનાના જૂના કામોમાં થશે. જ્યારે વર્ષ 24થી 26 ના જે નવા 23 કરોડ આવ્યા છે, તેમાંથી રોડ રિસરફેસિંગ, સીસીટીવી કેમેરા, રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન અને વોકળા સફાઈ જેવા કામો હાથ ધરવામાં આવશે. ખાસ કરીને અમૃત 2.0 યોજના માટે સૌથી મોટું બજેટ ફાળવવામાં આવ્યું છે. લાંબા સમયથી પડેલી ગ્રાન્ટ હવે લેપ્સ ન થાય અને જનતાની સુવિધામાં વપરાય તે હેતુથી સ્થાયી સમિતિએ આ સંયુક્ત આયોજનને મંજૂરી આપી છે જૂની એજન્સીની મુદત વધારી:ડોર ટુ ડોર કલેક્શનમાં નવી એજન્સી ન આવે ત્યાં સુધી હાલની એજન્સીથી કામ ચલાવાશે. , બે એજન્સીઓ બ્લેકલિસ્ટ: સમયસર કામગીરી કરવામાં નિષ્ફળ રહેલી સ્વસ્તિક કન્ટ્રકશન અને ડી.એમ. મકવાણા સામે શિક્ષાત્મક બ્લેક લિસ્ટ ના પગલાં., વધારાના આર્થિક ખર્ચની મંજૂરી:નિવૃત્ત અને હંગામી કર્મચારીઓના પગાર તેમજ મેડિકલ ખર્ચ પેટે મનપાની તિજોરી પર બોજ વધશે., વર્ષ 21-22 થી લઇ અત્યાર સુધીની સાત કરોડની ગ્રાન્ટ પડી રહી હતી. આયોજનના અભાવે આ ગ્રાન્ટ સત્તાધીશો વાપરી શક્યા ન હતા. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરના ઐતિહાસિક અને નવનિર્મિત નરસિંહ મહેતા સરોવરને હવે પર્યટન ઉપરાંત આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. સ્થાયી સમિતિ દ્વારા લેવાયેલા તાજેતરના નિર્ણય મુજબ, સરોવર ખાતે પ્રી-વેડિંગ શૂટિંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી જૂનાગઢના યુવા યુગલોને હવે શૂટિંગ માટે દૂરના શહેરોમાં જવાની જરૂર નહીં રહે, ઘરઆંગણે જ અત્યંત સુંદર અને નયનરમ્ય લોકેશન મળી રહેશે. સ્થાયી સમિતિએ પ્રી-વેડિંગ શૂટિંગ માટે 3 કલાકના માત્ર રૂ. 5000 જેવો વ્યાજબી દર નક્કી કર્યો છે, જે ખાનગી સ્ટુડિયો કે રિસોર્ટ્સની તુલનાએ ઘણો ઓછો છે. સરોવર ખાતે બનેલા ભવ્ય એમ્ફીથિયેટરને પણ કલા-સંસ્કૃતિના પ્રોત્સાહન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ સુવિધાને કારણે સ્થાનિક ફોટોગ્રાફર્સ અને વિડીયોગ્રાફર્સ માટે રોજગારીની નવી તકો ઊભી થશે અને જૂનાગઢનું પર્યટન ક્ષેત્રે નામ વધુ રોશન થશે. આ ઉપરાંત સરોવરમાં આવેલું એમ્ફી થિયેટરમાં સ્થાનિક કલાકારો માટે ત્રણ કલાકના 4000 ભાવ રાખવામાં આવ્યો છે. વેસ્ટ ટુ ચાર્કોલ પ્લાન્ટ: શૂન્ય ખર્ચે પીપીપી ધોરણે 200 ટન કચરામાંથી ચાર્કોલ બનાવવાનો પર્યાવરણલક્ષી પ્રોજેક્ટ કાર્યરત થશે. , નરસિંહ મહેતા તળાવ-વાંચન પ્રવૃત્તિ: મુક્તધારા ફાઉન્ડેશન સાથે એમઓયુ કરી તળાવ કિનારે લોકો માટે વાંચન અભિયાન વેગવંતુ બનશે. , રેઈનવોટર હાર્વેસ્ટીંગ ઝુંબેશ: આગામી ચોમાસા પૂર્વે જળ સંચય માટે એજન્સીઓ નક્કી કરી અમલીકરણ માટેની દરખાસ્ત મંજૂર કરાઈ., મધુરમ હોકર્સઝોન કાર્યરત:નાના વેપારીઓ સ્વમાનભેર ધંધો કરી શકે તે માટે નીતિ-નિયમો મંજૂર કરાયા
પોરબંદરના યાર્ડમાં કેસર કેરીની આવકમાં વધારો થયો છે.યાર્ડમાં એક દિવસમાં બીલેશ્વર, ખંભાળા, રાણાવાવ અને આદિત્યાણા પંથકના બગીચામાંથી રેકોડબ્રેક 1274 બોક્સ કેરીની આવક નોંધાઈ છે.યાર્ડમાં ઉચ્ચ ગુણવત્તાની કેરીની આવક નોંધાતા પ્રતિબોક્સના રૂ.100 થી 300 નો ભાવ વધારો નોંધાયો છે હાલ યાર્ડમાં આવક થયેલ કેરીના પ્રતિબોકસે રૂ.1350 થી 2300 ભાવ બોલાયા હતા. સમગ્ર રાજ્યના તલાલા ગીર,જૂનાગઢ તેમજ પોરબંદરના બરડા પંથકની કેરી માટે ખ્યાતનામ કહેવામાં આવે છે.પોરબંદરના બરડા પંથકમાં આવેલ કેરીના બગીચામાંથી ઉત્પાદિત થતી કેરી સમગ્ર દેશ ઉપરાંત વિદેશમાં પણ પ્રખ્યાત છે ત્યારે પોરબંદર જિલ્લામાં આ વર્ષે કેસર કેરીની આવક પણ વહેલી નોંધાઈ છે.બરડા ડુંગરમાં ચુનાના પથ્થરના પેટાળને લીધે કેરીના બગીચામાં આ ચુનાના પથ્થરના પેટાળની ગરમીને લીધે સિઝન કરતા વહેલા ફાલ લાગી જાય છે જેથી પોરબંદરમાં આ વર્ષે વહેલી કેરી પાકી છે. યાર્ડમાં કેરીની આવકમાં વધારો થયો છે. પોરબંદરના યાર્ડમાં ગુરુવારે એક જ દિવસમાં બીલેશ્વર, ખંભાળા, રાણાવાવ અને આદિત્યાણા પંથકના બગીચામાંથી 1274 બોક્સ એટલે કે 12740 કિલો કેસર કેરીની આવક થઈ હતી.યાર્ડમાં હાલ કેસર કેરીની સિઝન શરૂ થતાં ઉચ્ચ ગુણવત્તા યુક્ત કેરીની આવક શરૂ થઈ છે જેથી પ્રતિબોક્સના રૂ.100 થી 300 નો ભાવ વધારો નોંધાયો છે હાલ યાર્ડમાં આવક થયેલ કેરીના પ્રતિબોકસે રૂ.1350 થી 2300 ભાવ બોલાયા હતા.યાર્ડમાં હાલ કેરીની આવક વધી છે તેમછતાં ભાવમાં વધારો થયો છે. પોરબંદરના યાર્ડમાં અગાઉ કેરીના બોક્સના રૂ.1200 થી 1700 ભાવ બોલાતા હતા ત્યારે પોરબંદરના યાર્ડમાં ઉચ્ચ ગુણવત્તા યુક્ત કેરીની આવક શરૂ થતાં હાલ રૂ.1350 થી 2300 પ્રતિબોકસે રૂ.1350 થી 2300 ભાવ બોલાયા છે ત્યારે હાલ પ્રતિબોકસે રૂ.150 થી 300 ભાવ વધ્યા હતા.
ઠગાઈ:પોરબંદરના શિક્ષક સહિત 12 યુવાનો સાથે રૂ.72.50 લાખની છેતરપિંડી આચરી
કેનેડાનો શખ્સ અને રાજસ્થાનની મહિલા આરોપીએ પોરબંદર માંથી શિક્ષક સહિત કુલ 12 યુવાઓને યુ.કે.,ન્યુઝીલેન્ડ, જર્મની દેશમાં વર્ક વિઝા અપાવવાની ખાતરી આપી કુલ રૂ.72.50 લાખ લઈ લીધા બાદ છેતરપિંડી કરતા આ અંગે ફરિયાદ નોંધાઈ છે. કેનેડાનો રવી સેરુ નામનો આરોપી તથા રાજસ્થાનના જયપુરની શુભ્રા આચાર્ય નામની આરોપીએ સાથે મળી ગુન્હાહિત કાવતરુ રચ્યું હતું અને પોરબંદરના સુતારવાડા શ્રી એપાર્ટમેન્ટમાં રહેતા ચિરાગ જયેશભાઈ હિંડોચા નામના શિક્ષકને વર્ક વિઝા, એજ્યુકેશન વિઝા અને વિઝિટર વિઝા વિશે માહિતી આપી પોતાની ઓપોર્ચ્યુનિટી ઇન્ટરનેશનલ સાથે જોડાવાની વાત કરી વિઝા ફાઇલ કરાવાની કામગીરીથી સારી આવક મળી શકે તેમ સમજાવી પોતાની સંસ્થા સાથે જોડાવાની ઓફર કરી વિશ્વાસમાં લીધા હતા. પોરબંદરમાંથી કુલ 12 ક્લાયન્ટને યુ.કે., ન્યુઝીલેન્ડ, જર્મની દેશમાં વર્ક વિઝા અપાવવાની ખાતરી આપી હતી જેથી શિક્ષકે આરોપી શુભ્રા આચાર્યના એકાઉન્ટમાં તમામ ક્લયાન્ટની ફી પેટે બેન્કથી ટ્રાન્સફર, આંગણીયા મારફત તેમજ સાહેદ તેજલબેન ઓડેદરાના ભાઇ દ્વારા શુભ્રાના એકાઉન્ટમાં અને યુ.કે.માં શુભ્રા આચાર્યના બીઝનેશ પાર્ટનરને રોકડા ઉપરાંત રાજદીપભાઇ ઓડેદરા દ્વારા શુભ્રા આચાર્યના એકાઉન્ટમાં ટ્રાન્સફર એમ તમામ રકમ મળી કુલ રૂ.72.50 લાખ મોકલ્યા હતા. આરોપીઓ દ્વારા તમામ રકમ મેળવી લીધી હતી અને આરોપી શુભ્રા આચાર્ય દ્વારા કલ્યાન્ટના વિઝા લેટર, ઓફર લેટર તથા ઇનવોઇસીસ જેવા મહત્વના દસ્તાવેજો ખોટા બનાવી એપ મારફત મોકલી ક્લાઈન્ટોને તથા શિક્ષક સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી. જે અંગે શિક્ષકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી કમલાબાગ પોલીસ ચલાવી રહી છે.
મતદારોમાં અસંતોષ:પોરબંદર મનપાની બેઠકો બિનહરીફ થતા લોકશાહીનો તહેવાર પહેલા જ ફિક્કો પડ્યો
પોરબંદર મનપાની ચૂંટણી પહેલા જ લોકશાહી પર્વની ઉજવણી ફિક્કી પડી હોવાનું પ્રબુધ્ધ નાગરિકો જણાવી રહ્યા છે. બેઠકો બિનહરીફ થતા 2 વોર્ડમાં ચૂંટણી નહીં થાય જેથી મતદારોને વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 12માં મત આપવાનો અધિકારની તક આ વખતે નહીં મળે. પોરબંદરમાં મનપાની ચૂંટણીમાં આ વખતે 13 વોર્ડની કુલ 52 બેઠકોમાંથી 11 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. ઉલ્લેખનીય છેકે, લોકશાહીમાં મતદાનનું મહત્વ જ રહેલું છે. મત આપવાનો મતદારોનો અધિકાર છે. કોને મત આપવો અને કોણ સ્થાનિક લેવલ કામગીરી કરશે તેના પર મતદારો જે તે પક્ષના ઉમેદવારને મત આપી ચૂંટી કાઢતા હોય છે. મજબૂત લોકશાહી માટે વધુ મતદાન થાય તે માટે તંત્ર અને સંસ્થાઓ મતદાન કરવા માટે લોકોને જાગૃત કરે છે ત્યારે ખાસ કરીને મનપાની 13 વોર્ડની ચૂંટણીમાં વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 12માં તમામ બેઠક બિનહરીફ થતા આ વોર્ડમાં ચૂંટણી પ્રક્રિયા નહીં થાય. આ બંને વોર્ડમાં પ્રજાને મતદાન કરવાની તક મળતી નથી, જે લોકશાહીના મૂળ સિદ્ધાંતને પ્રશ્નચિહ્ન હેઠળ મૂકે છે. પ્રબુધ્ધ નાગરિકોએ જણાવ્યું હતુ કે, મતદારોમાં એ વાતને લઈને અસંતોષ છે કે, તેઓ પોતાના પ્રતિનિધિ પસંદ કરવાની પ્રક્રિયામાંથી વંચિત રહ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતુ કે, બિનહરીફ બેઠકો લોકશાહી માટે સકારાત્મક સંકેત નથી. જ્યાં પ્રજાને મતદાનનો મોકો મળે અને સ્પર્ધા થાય ત્યાં જ સાચી લોકશાહી મજબૂત બને છે.
સ્થાનિકોમાં રોષ:સુભાષનગરમાં ભર ઉનાળે પીવાના પાણીનો પોકાર ઉઠ્યો
પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં ભર ઉનાળે પીવાના પાણીનો પોકાર ઉઠ્યો છે. પીવાનું પાણી 5 દિવસથી વિતરણ ન થતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. આ વિસ્તારમાં સ્થાનિકોનાં ઘરોમાં ખાલીખમ પાણીની ટાંકીઓ અને ખાલીખમ પાણીના બેરલો નજરે ચડે છે. પોરબંદરમાં ઉનાળા દરમ્યાન પાણીની પળોજણ શરૂ થઈ છે. પીવાનું પાણી નિયમિત ન આવતા સ્થાનિકોને હાલાકી વેઠવી પડે છે. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં 12 હજાર જેટલી વસ્તી છે. આ વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી પીવાનું પાણી વિતરણ થયું નથી. સ્થાનિકોએ જણાવ્યું હતુકે, સુભાષનગરમાં દર 3 દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે પરંતુ પીવાના પાણીનો વારો હતો તે દિવસે પાણી વિતરણ ન થયું અને બીજા દિવસે પણ પાણી વિતરણ ન થયું. આમ 5 દિવસથી પીવાનું પાણી વિતરણ ન થતાં સ્થાનિકો મુશ્કેલી વેઠી રહ્યા છે. હજુ તો ઉનાળો બાકી છે અને આ દરમ્યાન જ પીવાના પાણી વિતરણની સમસ્યા સર્જાણી છે. સ્થાનિકોએ જણાવ્યું હતુકે, ઘર બહાર રાખેલ પીવાના પાણીની ટાંકીઓ અને બેરલો ખાલીખમ બન્યા છે. મનપા દ્વારા પીવાના પાણી વિતરણ માટે યોગ્ય આયોજન કરી નિયમિત પીવાનું પાણી વિતરણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. પાણી વેચાતું લેવાનો વારો આવ્યો સુભાષનગરમાં સ્થાનિકોએ જણાવ્યું હતુકે, મનપા દ્વારા 5 દિવસથી પીવાનું પાણી વિતરણ થયું નથી. ઉનાળા દરમ્યાન પાણી વધારે પીવાતું હોય છે અને આ ઋતુમાં પુષ્કળ પાણી પીવું જોઈએ તેવું ડોક્ટરો સલાહ આપે છે, પરંતુ પીવાનું પાણી વિતરણ ન થતા સ્થાનિકોને પીવાનું પાણી વેચાતું લેવું પડી રહ્યું હોવાનું જણાવ્યું હતું.
કાર્યવાહી:સમુદ્રમાં એલઈડી લાઇટ રાખી ફિશીંગ કરતી બોટ સામે કાર્યવાહી
સમુદ્રમાં લાઇન ફિશીંગ, લાઈટ ફિશીંગ, ઘેરા ફિશીંગ કરવા પર પ્રતિબંધ છે, ત્યારે સમુદ્રમાં લાઈટ ફિશીંગ કરતી બોટ સામે મિયાણી મરીન પોલીસે કાર્યવાહી કરી એક શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે. ગુજરાત રાજયના કોસ્ટલ વિસ્તારમાં ગુજરાત મત્સ્યદ્યોગ અધિનિયમના કાયદાનો ભંગ કરી ગેરકાયદેસર રીતે માચ્છીમારી કરતા શખ્સ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા, દરીયાઇ પેટ્રોલીંગ કરી બોટો ચેકીંગ કરવા આપેલ સૂચના અનુસંધાને મિયાણી મરીન પોલીસ દ્વારા ચેકીંગ દરમ્યાન કાંટેલા ગામ સામે દરિયામાં ખારવાવાડ પાલાના ચોકમાં રહેતો નરેશ દેવા હોદ્દાર નામના શખ્સની પોતાના કબ્જા હવાલા વાળી નારાયણ સાગર નામની IND GJ 25 MO 4413 નંબરની ફિશીંગ બોટમાં બિન અધિકૃત રીતે એલ.ઇ.ડી. લાઇટોના અજવાળે ગેરકાયદેસર માછીમારી કરતો હતો. પોલીસે ગુજરાત મત્સ્યધોગ અધિનિયમ 2023ના કાયદાની કલમ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી મિયાણી મરીન પોલીસ ચલાવી રહી છે.
આધુનિક જીવનશૈલી અને અનિયમિત ખાણીપીણીના કારણે હાલ કોલેસ્ટ્રોલની સમસ્યા ઝડપથી વધી રહી છે. પોરબંદર હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરીને શહેરવાસીઓને સમયસર સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, જો કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં ન રાખવામાં આવે તો હાર્ટ એટેક અને હાર્ટ ફેલ જેવી જીવલેણ સમસ્યાઓ ઊભી થઈ શકે છે. સૌથી સરળ ઉપાય વોકિંગ છે ટ્રસ્ટ દ્વારા રોજિંદા જીવનમાં ઓછામાં ઓછા 30 થી 45 મિનિટ વોકિંગ કરવાની સલાહ આપવામાં આવી છે. પોરબંદરની ચોપાટી, રિવરફ્રન્ટ અને બાગ-બગીચા જેવી જગ્યાઓ વોકિંગ માટે ઉત્તમ છે. નિયમિત ચાલવાથી હાર્ટ મજબૂત બને છે, વજન નિયંત્રિત રહે છે અને તણાવમાં ઘટાડો થાય છે. કોલેસ્ટ્રોલ વધારવાનું મુખ્ય કારણ શું ? આહાર અને જીવનશૈલીમાં ફેરફાર થવો, ખાસ કરીને જંકફૂડ, તેલિયું અને મીઠાઈઓનું વધુ સેવન કોલેસ્ટ્રોલ વધારવાનું મુખ્ય કારણ છે. તેના બદલે તાજા શાકભાજી, ફળો, પૂર્ણઅનાજ અને પ્રોટીનયુક્ત આહાર લેવાની સલાહ આપવામાં આવી છે. પૂરતી ઊંઘ, યોગ-ધ્યાન અને નિયમિત ચેકઅપ પણ જરૂરી છે. કોલેસ્ટ્રોલ: સાઈલન્ટ કિલર કોલેસ્ટ્રોલ શરીર માટે જરૂરી ચરબીયુક્ત પદાર્થ છે, પરંતુ તેની માત્રા વધે તો તે રક્તનાળીઓમાં જમા થઈને અવરોધ સર્જે છે. ખાસ કરીનેખરાબ કોલેસ્ટ્રોલ વધે ત્યારે હૃદય સુધી રક્તપ્રવાહમાં વિઘ્ન આવે છે, જે ગંભીર હાર્ટ ડિસીઝનું કારણ બની શકે છે.
ફરિયાદ:મહિયારી ગામે દારૂના વેચાણમાં મદદ કરવાની ના પાડતા માતા - પુત્ર પર બુટલેગરે હુમલો કર્યો
ઘેડ પંથકના મહિયારી ગામે એક બુટલેગરે એક યુવાનને દારૂ વેચવા માટે મદદ કરવા માટે કહ્યું હતું જેથી યુવાને મદદ કરવાની ના પાડી દેતા જેમના મનદુઃખને લઈને યુવાન અને તેમની માતા પર આ બુટલેગરે હુમલો કર્યો હોવાના આક્ષેપો સાથે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાની મળતી વિગતો અનુસાર મહિયારી ગામે રહેતા સોલંકી વિજય માલદે નામના યુવાનને થોડા દિવસ પૂર્વે ગામના એક બુટલેગરે દારૂ વેચાણ કરવા માટે જણાવ્યું હતું જેથી આ યુવાને દારૂ વેચાણ કરવાની ના પાડી દીધી હતી.જેના મનદુઃખને લઈને સોલંકી વિજય માલદે તેમના ઘરે હતો ત્યારે બુટલેગર કરણ પરબત અને તેમના પુત્ર બંને ઘર નજીક આવી અને આ યુવાન પર પાઇપ વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં વચ્ચે પડેલ યુવાનને માતા સોલંકી મંજુબેન માલદે પર પણ હુમલો થયો હતો.આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ માતા પુત્રને સારવાર અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ ઘટના બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘર બહાર બેઠો હતો ત્યારે હુમલો કર્યોહું મારા ઘરની બહાર બેઠો હતો ત્યારે કરણ પરબત અને તેમનો છોકરો આવ્યો અને હુમલો કરી દીધો હતો જેમાં મારા માતા વચ્ચે પડતા તેમની પર હુમલો કર્યો હતો.15 દિવસ પહેલા કરણે અમને દારૂ વેચાવા કહ્યું હતું જે અમે ના પાડી દેતા આ હુમલામાં કર્યો છે. > વિજય માલદે,ઈજાગ્રસ્ત
નિક વેપારીઓને ભારે મુશ્કેલી:લીમડા ચોકમાં 2 માસથી તૈયારશૌચાલયને તાળા લગાવી દેવાયા
પોરબંદર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં સોચાલય બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે મનપા દ્વારા લીમડા ચોક વિસ્તારમાં પણ સોચાલય બનાવવાની કામગીરી કરવામાં આવી હતી.આ સોચાલય તૈયાર થઈ ગયાના 2 માસ જેવો સમય થઈ ગયો હોવાછતાં મનપા દ્વારા સોચાલય અલીગઢના તાળા લગાવી રાખવામાં આવ્યા છે જેથી સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડે છે. પોરબંદર શહેરમાં પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે.પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં જાહેર સોચાલય બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.પોરબંદર મનપા દ્વારા શહેરના લીમડા ચોક માર્કેટ પાસે પણ સોચાલય બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.ત્યારે આ સોચાલય તૈયાર થઈ ગયા બાદ પણ છેલ્લા 2 માસથી મનપા દ્વારા અલીગઢના તાળા લગાવી દેવામાં આવ્યા છે જેથી સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે તો આ બાબતે સ્થાનિકો દ્વારા અગાઉ પણ રજુઆત કરવામાં આવી હતી.તેમછતાં સોચાલય ખુલ્લું મુકવામાં આવ્યું ન હતું. લોકાર્પણ થયે તાળા ખુલશે તેવી ચર્ચા પોરબંદરના લીમડા ચોક નજીક બનાવવામાં આવેલ સોચાલયને 2 માસથી તાળા લગાવી દેવામાં આવ્યા છે ત્યારે કોઈ મહાનુભાવના હસ્તે લોકાર્પણ થયા બાદ જ મનપા આ સોચાલય તાળા ખોલશે તેવી સ્થાનીક વેપારીઓમાં ચર્ચા જાગી છે .
કરૂણાંતિકા:યુરિયા ખાતર ખાઇ જતા પરિણીતાનું સારવારમાં મોત
રાણાવાવના ભોદના પાટિયા પાસે વાડી વિસ્તારમાં રહતી એક પરપ્રાંતીય પરણિતાએ કોઈ અગમ્ય કારણોસર ખેતરમાં છાંટવાનું યુરિયા ખાતર ખાઇ લેતા આ પરિણીતાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. મૂળ મધ્યપ્રદેશ અને હાલ રાણાવાવના ભોદ ગામના પાટિયા પાસે ભીમભાઇ ખુંટીની વાડીએ મજૂરીકામ કરવા આવેલ અનુ ઉર્ફે અનુબાઈ અનિલ ભુરીયા નામની 20 વર્ષીય પરણિતાએ ગત તા.15/4ના રોજ ખેતરમાં કામ કરતી હતી તે દરમ્યાન આ મહિલાએ ખેતરમાં છાંટવાનુ યુરિયા ખાતર ખાઇ જતા આ મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમ્યાન આ મહિલાનું મોત થયું છે. આ પરિણીતાના મોતને પગલે તેમના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે. આ બનાવ અંગે પરણિતાએ અગમ્ય કારણસર આપઘાત કર્યો હોવા અંગેની તેણીના પતિ અનિલ કૈલાશભાઈ ભૂરિયાએ પોલીસ ચોપડે નોંધાવતા પોલીસે આ બનાવ અંગે જાણવાજોગ દાખલ કરી આગળની તપાસ ડીવાયએસપી ધ્રુવલ સુતરીયા ચલાવી રહ્યા છે.
કોટંબીમાં બીસીએ દ્વારા તૈયાર કરાયેલા અત્યાધુનિક સ્ટેડિયમની મુંબઇ ક્રિકેટ એસોસિયેશનની આર્કિટેક્ચરલ ટીમે મુલાકાત લીધી હતી. કોટંબીના મેદાનના ડિઝાઇનલ પ્લાનિંગ, સ્ટેડિયમ મેનેજમેન્ટ, પ્લાનિંગ ફિલોસોફી, ઓપરેશનલ સ્ટ્રેટેજી સહિતના મુદ્દાને આવરી બીસીએની ટીમે પ્રેઝન્ટેશન કરાયું હતું. એસએસએની ટીમમાં અમિત ચૌબલ (ચેરમેન), કૌસ્તુભ શેવડે સહિતના સભ્યોનો સમાવેશ થતો હતો. બીસીએનું સ્ટેડિયમ અત્યાધુનિક સુવિધા અને મેનેજમેન્ટ માટે ખ્યાતિ મેળવી ચૂક્યું છે. ત્યારે મુંબઇ ક્રિકેટ એસોસિયેશન આગામી સમયમાં એક લાખ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ તૈયાર કરવાનું આયોજન કરી રહ્યું છે બરોડા ક્રિકેટ એસોસિયેશનના આ નવા સ્ટેડિયમના આર્કિટેક્ચરલ તત્ત્વોને તેમાં કેવી રીતે આવરી શકાય તે હેતુથી આ ટીમે આ સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત આ સ્ટેડિયમના મેન્ટેનન્સ અને વિવિધ અપટુડેટ ટેક્નોલોજીના સાધનોની વિગતો લીધી હતી. અમિત ચૌબલે કહ્યું કે, સ્ટેડિયમમાં પ્રેસિડેન્શિયલ, વીઆઇપી અને કોર્પોરેટ બોક્સ તથા આર્કિટેકચર ડિઝાઇન પ્રભાવશાળી છે. BCA-MCA વચ્ચે નોલેજ શેરિંગ માટે અગત્યની મુલાકાતબીસીએ સ્ટેડિયમમાં ફ્લડ લાઈટ્સ અને સાઉન્ડ સિસ્ટમ, ડ્રેનેજ સિસ્ટમ ઉદાહરણરૂપ છે. કોઇ પણ ખૂણાની સીટ પરથી ગ્રાઉન્ડ જોઇ શકાય તેવી પરફેક્ટ વ્યૂઇંગ એન્ગલની પણ સુવિધા બેન્ચ માર્ક છે. MCA અને BCA વચ્ચેનું આ તકનિકી આદાન-પ્રદાન ભવિષ્યમાં મોટા પ્રોજેક્ટ્સમાં ‘નોલેજ શેરિંગ’ માટે પાયો નાખશે. મુંબઈની આર્કિટેક્ચરલ ટીમ કોટંબીની કોસ્ટ-ઇફેક્ટિવ છતાં લક્ઝુરિયસ ડિઝાઇનનાં તત્ત્વોને પ્લાનિંગમાં સામેલ કરશે.
એનઇપીનાં 3 વર્ષ પૂરાં:ચોથા વર્ષમાં ઓનર્સ કે રિસર્ચ લેવું તે છાત્રનો નિર્ણય
નવી એજ્યુકેશન પોલિસી મુજબ હવે શિક્ષણનું માળખું બદલાઈ રહ્યું છે. આગામી શૈક્ષણિક વર્ષ 2026-27 થી સ્નાતક કક્ષાએ ચોથા વર્ષનો અમલ શરૂ થવા જઈ રહ્યો છે. જેઓએ આ વર્ષે 3 વર્ષ પૂર્ણ કર્યા છે તેઓ હવે પોતાની પસંદગી મુજબ 4થા વર્ષમાં પ્રવેશ મેળવી શકશે. ચાર વર્ષના ડિગ્રી કોર્સમાં અત્યાર સુધી જે પ્રવેશ પ્રક્રિયાને લઈને દ્વિધા હતી, તેનો રાજ્ય સરકારે ઉકેલ લાવી દીધો છે. હવેથી ચોથા વર્ષમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ કોઈ નવા પોર્ટલ પર ફોર્મ ભરવા નહીં જવું પડે યુનિવર્સિટી જ નક્કી કરશે કે તમને પ્રવેશ કેવી રીતે આપવો. જો તમે 3 વર્ષ પૂરા કર્યા છે અને 4થા વર્ષમાં ઓનર્સ કે રિસર્ચ કરવા માંગો છો, તો તેને નવું એડમિશન ગણવામાં આવશે નહીં. કોઈ વધારાની ઓનલાઈન પ્રક્રિયા વગર સીધો પ્રવેશ મળશે. વિદેશ જનારા વિદ્યાર્થીઓ માટે 16 વર્ષના શિક્ષણની શરત પૂરી થશે જેનો સૌથી મોટો ફાયદો એ છે કે ચોથા વર્ષનો સિલેબસ અને પોસ્ટ ગ્રેજ્યુએશનના પહેલા વર્ષનો સિલેબસ સમાન રાખી શકાશે. જે વિદ્યાર્થીઓ 4 વર્ષની ઓનર્સ ડિગ્રી લેશે, તેમને માસ્ટર્સમાં સીધો ફાયદો થશે. ચોથું વર્ષ કરવા 75% ફરજિયાત વિદ્યાર્થીઓ પાસે 3 વિકલ્પ
અમરનાથ યાત્રામાં બાબા બર્ફાનીના દર્શન માટે દર વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યા વધી રહી છે. આ વર્ષે યાત્રાની તારીખો મોડી જાહેર થઈ હોવા છતાં, રજિસ્ટ્રેશન શરૂ થતાની સાથે જ 3 જુલાઈથી 20 જુલાઈ સુધીની તમામ તારીખો ફુલ થઈ ગઈ છે. વડોદરામાંથી યાત્રાળુઓ માટેનો ક્વોટા વધારવામાં આવે તેવી માંગ ઉઠી છે. અમરનાથ યાત્રા માટે વડોદરામાં જમ્મુ-કાશ્મીર બેંક, પંજાબ નેશનલ બેંક અને એસબીઆઈમાં રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. આ ત્રણેય બેંકમાં રોજના 160 લોકોનું જ રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. વડોદરામાં ક્વોટા મર્યાદિત હોવાથી લોકો આણંદ, ભરૂચ અને ગોધરા જેવા શહેરોમાં જઈને રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. માં શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટના મિલિન્દ વૈદ્યે જણાવ્યું કે, 3 જુલાઈથી યાત્રા શરૂ થવાની છે, જેના પગલે 1 તારીખથી જમ્મુમાં અને 2 તારીખથી બાલતાલમાં ભંડારા શરૂ થશે. મેડિકલ ટેસ્ટ કરાવવા માટે પણ લોકોનો ધસારોશહેરની જમનાબાઈ હોસ્પિટલ, સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં અમરનાથ યાત્રીઓની મેડિકલ તપાસ શરૂ થઈ. મેડિકલ પ્રક્રિયા પૂર્ણ કરી હશે, તેમને રજિસ્ટ્રેશન માટે પ્રાધાન્ય મળશે. પહેલગામથી 50 લોકોના તત્કાલ ક્વોટાની વ્યવસ્થાઅમરનાથ શ્રાઇન બોર્ડ દ્વારા પહેલગામથી 50 લોકો માટે તત્કાલ ક્વોટાની વ્યવસ્થા રાખવામાં આવે છે. આ ક્વોટા મર્યાદિત હોવાથી કેટલા લોકોને તેનો લાભ મળશે તે એક પ્રશ્ન છે.
મેરેન્ગો એશિયા હૉસ્પિટલ્સે સનશાઇન ગ્લોબલ હૉસ્પિટલ્સમાં બહુમતી હિસ્સેદારીનું અધિગ્રહણ કરી પશ્ચિમ ભારતમાં હાજરી વધુ મજબૂત કરી છે. હાલ અમદાવાદ, ભૂજમાં તેનાં 2 યુનિટ કાર્યરત છે. મેરેન્ગો હૉસ્પિટલ્સ ગ્રૂપ દ્વારા ટાટા મોટર્સ અને હાર્વર્ડના સહયોગથી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો અમદાવાદ-મુંબઈનો પટ્ટો દત્તક લીધો છે. જેમાં હાઈવે પેટ્રોલ પંપ, દુકાનોના કર્મીને સીપીઆર સહિતની ટ્રેનિંગ અપાશે. ગોલ્ડન અવરમાં ઝડપી સારવાર આપી લોકોના જીવ બચાવાશે. સાથે વડોદરા અને સુરતના તબીબોને માત્ર મેરેન્ગો એશિયાના રાષ્ટ્રીય સ્તરના નેટવર્કનો લાભ મળશે. કેન્યા, ઇરાક, સાઉદી અરબ, મધ્ય પૂર્વ અને ઉઝબેકિસ્તાનમાં ગ્રૂપની હાલની ભાગીદારી દ્વારા કુશળતાનો ઉપયોગ કરવાની તક પણ મળશે. મેરેન્ગો એશિયા હૉસ્પિટલ્સના ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ ડૉ.રાજીવ કહ્યું કે, પશ્ચિમ ભારતમાં 1150થી વધુ બેડ સાથે વિસ્તરણ થતાં ગુજરાતના સૌથી મોટા આરોગ્ય સેવા પ્રદાતામાંના એક બન્યા છીએ. વડોદરા અને સુરત જેવાં મહત્ત્વનાં શહેરોમાં પ્રવેશી ત્યાંના નાગરિકો અને આસપાસના વિસ્તારો માટે અદ્યતન સારવાર ઉપલબ્ધ કરાવવાથી અમને આનંદ થાય છે. સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ્સના સંકલન સાથે ગ્રુપ હવે કુલ આઠ હોસ્પિટલ્સ ચલાવે છે, જેની સંયુક્ત ક્ષમતા 2,500 બેડની છે અને જેમાં 1,000થી વધુ ડૉક્ટરો તથા 5,200 કર્મચારીઓ કાર્યરત છે. દક્ષિણ ગુજરાતમાં વૈશ્વિક આરોગ્ય ધોરણ લવાશેબરોડા મેડિકેર પ્રા. લિ.ના ડિરેક્ટર અને જનરલ, લેપ્રોસ્કોપિક અને બેરિયાટ્રિક સર્જન ડૉ.ભીખુભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમે સાથે મળીને દક્ષિણ ગુજરાતમાં વૈશ્વિક આરોગ્ય ધોરણો લાવીશું. બરોડા મેડિકેર પ્રા. લિ.ના ડિરેક્ટર તથા ફૂટ અને એન્કલ સર્જન ડૉ. રાજીવ શાહે જણાવ્યું, આ ભાગીદારીથી ગુજરાત તેમજ તેની બહાર અમારી પહોંચ અને પ્રભાવ વધશે
લિફ્ટ ખોટકાઇ:સમા મામલતદાર કચેરીમાં લિફ્ટ ખોટકાઇ, વૃદ્ધને ઊંચકીને 2 માળ ઉપર લઈ જવા પડ્યા
સમા મામલતદાર કચેરીમાં 15મીએ કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા આવતાં ધક્કા-મુક્કીમાં 8થી 10 લોકો ઘૂસી જતાં લિફ્ટ ખોટકાઈ હતી. જેની અસર મામલતદાર કચેરીમાં આવતા અરજદારો પર થઈ રહી છે. 16 એપ્રિલે દસ્તાવેજ કરવા આવેલા અરજદાર ચાલી ન શકતાં પરિવારે ઊંચકીને 2 માળ ઉપર લઈ જવા પડ્યાં હતાં. મામલતદાર સહિતના અધિકારી-કર્મીઓને ગરમીમાં 3 માળ સુધી ચઢી પરસેવો પાડવો પડે છે. લિફ્ટનાં સેન્સર બગડ્યાં હોવાથી દિલ્હીથી મગાવવા પડ્યાં છે. એક અંદાજ મુજબ 3થી 4 દિવસ લિફ્ટ બંધ રહેતાં વૃદ્ધ અને દિવ્યાંગો મુસીબતમાં મુકાશે. દસ્તાવેજ કરવા આવેલાં સુનિતાબેને કહ્યું કે, નારાયણભાઈને દસ્તાવેજ કરવા સમા મામલતદાર કચેરી લવાયા હતા. તે અસ્વસ્થ હોવાથી લિફ્ટ મારફતે દસ્તાવેજ કરવા બીજા માળે લઈ જવાના હતા. જોકે કર્મીએ જણાવ્યું કે, લિફ્ટ બગડેલી છે. જેથી 4 લોકોએ તેમને ઊંચકી બે માળ ચઢાવવા પડ્યા હતા. 15મીએ કોંગ્રેસનાં ઉમેદવાર ભૂમિ પ્રજાપતિ ફોર્મ પરત ખેંચવા પહોંચતાં કોંગ્રેસ નેતા અને પોલીસ વચ્ચે ધક્કામુક્કી થતાં લિફ્ટ ખોટકાઈ હતી. દિલ્હીથી સેન્સર આવશે પછી લિફ્ટ ચાલુ થશેલિફ્ટનાં સેન્સર ખરાબ થઈ ગયાં છે. આ સેન્સર દિલ્હીથી મગાવવા ઓર્ડર કરી દેવામાં આવ્યો છે. સેન્સર આવ્યા બાદ જ લિફ્ટ ફરીથી શરૂ થશે. > આર.કે. જાદવ, મામલતદાર (ઉત્તર) કચેરીમાં રોજના 2 હજારથી વધુ અરજદારો આવે છેમામલતદાર કચેરીમાં રોજ રાશનકાર્ડ, દસ્તાવેજ, આવકનો દાખલો સહિત વિવિધ કામ માટે 2 હજાર લોકો મુલાકાત લે છે. મામલતદાર કચેરીની લિફ્ટ ખોટકાતાં અરજદારોને 3 માળ દાદરા ચઢવા-ઊતરવા પડશે.
વિરોધ:સ્ટેમ્પવાલા બાદ નીતિન દોંગાનો વિરોધલખ્યું,ક્રાંતિકારી સેનાને જેન-ઝીની જરૂર
પાલિકાની ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ દ્વારા આદર્શ આચાર સંહિતાના ખુલ્લેઆમ ધજાગરા ઉડાડાતા હોવાનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેર કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ભાજપે પરવાનગી વગર સરકારી જમીન પર કબજો કર્યો છે. વોર્ડ 15માં સૂર્યનગર બસ સ્ટેન્ડ પાસે સરકારી માલિકીની જમીન પર ભાજપે મંજૂરી લીધા વિના ચૂંટણી કાર્યાલય તાણી બાંધ્યું છે. શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી કલ્પેશ પટેલે નોડલ અધિકારીને લેખિત ફરિયાદ કરી છે કે, ચૂંટણીનો પ્રચાર ચાલુ હોય ત્યારે આદર્શ આચાર સંહિતાને ધ્યાનમાં ન રાખી ભાજપના વોર્ડ 15નું ચૂંટણી કાર્યાલય સૂર્યનગર બસ સ્ટેન્ડ પાસે સરકારી જમીનનો ગેરકાયદે વપરાશ કરાઈ રહ્યો છે. કોઈ પરવાનગી વિના ભાજપનું વોર્ડ 15નું ચૂંટણી કાર્યાલય ચાલુ કરાયું છે. ભાજપ પોતાના અંગત રાજકીય પ્રચાર માટે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકે? ન્યૂ VIP રોડની લક્ષ્મીકુંજ સોસાયટીમાં બેનર, કોઈ ઉમેદવારે આવવું નહીંગંદું પાણી, ખાડા, ઊભરાતી ગટર સહિતના મુદ્દે તંત્રની નિષ્ફળતા સામે પ્રજામાં રોષ છે. જેની અસર ચૂંટણી પ્રચાર માટે આવતા ભાજપના નેતાઓ પર પડી રહી છે. અનેક ઠેકાણે બેનર-પોસ્ટરો સાથે ભાજપના ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે. ન્યૂ વીઆઇપી રોડ પર લક્ષ્મીકુંજ સોસાયટીમાં લોકોએ બેનર લગાવ્યાં છે. જેમાં કોઈ પણ પાર્ટીના ઉમેદવારે મત માગવા સોસાયટીમાં ન પ્રવેશવું સ્પષ્ટ સૂચના આપી છે. તેવી રીતે સમાની જય યોગેશ્વરનગર હાઉસિંગ સોસાયટીમાં પણ ચૂંટણી બહિષ્કારનાં બોર્ડ લગાવ્યાં છે. જેમાં લખ્યું છે કે, ચૂંટણીમાં ઊભા રહેલા કોઈ પણ ઉમેદવારે મત માગવા આવવું નહીં. પ્રકાશનગરમાં શ્વેતા ચૌહાણને ટપાર્યાં, હવે આંટો મારતાં રહેશેઉમેદવારો કારેલીબાગની પ્રકાશનગર સોસાયટીમાં પહોંચ્યા હતા. જ્યાંના સિનિયર સિટીઝનોએ રિપીટ કરાયેલાં ઉમેદવાર શ્વેતા ચૌહાણને ટપાર્યાં હતાં. સિનિયર સિટીઝને કહ્યું હતું કે, લાસ્ટ પિરિયડમાં તમે દેખાયાં હતાં અને હમણાં દેખાયાં છો, હવે આટો મારતાં રહેજો. જલારામનગરમાં પાયાની સુવિધાના અભાવે ચૂંટણી બહિષ્કારની ચીમકીકારેલીબાગ જલારામનગરમાં પાયાની સુવિધા માટે સંઘર્ષ કરી રહેલા રહીશોએ ચૂંટણી ટાણે આરપારની લડાઈ લડી લેવાનું નક્કી કર્યું છે. જલારામનગરની સૌથી ગંભીર સમસ્યા જાહેર રસ્તાની છે. રહીશોનો આક્ષેપ છે કે જાહેર રસ્તો ભૂમાફિયાઓએ દબાવી દીધો છે. રહીશોએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે, સમસ્યાનું નિરાકરણ ન આવે તો મતદાન નહીં કરે. ભાજપે વોર્ડ 15માં સરકારી જમીન પર ગેરકાયદે ચૂંટણી કાર્યાલય ઊભું કરી દીધું, કોંગ્રેસની ચૂંટણી આચારસંહિતા ભંગની ફરિયાદપાલિકાની ચૂંટણી પૂર્વે જ સત્તાધારી પક્ષના ઉમેદવારો સામે શહેરના વિવિધ વિસ્તારોમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે. વોર્ડ નંબર 10માં પૂર્વ કોર્પોરેટર અવનીબેન સ્ટેમ્પવાલાના વિરોધ બાદ હવે વધુ એક ઉમેદવાર નીતિન દોંગા સામે પણ મોરચો મંડાયો છે. શહેરના ભાયલી-વાસણા રોડ વિસ્તારમાં ભાજપનાં આ બંને રિપીટ કરાયેલાં ઉમેદવારોના વિરોધમાં રાતોરાત પોસ્ટરો લાગતાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. વોર્ડ 10ના ભાયલી અને વાસણા રોડ વિસ્તારમાં ઠેર-ઠેર લાગેલાં આ પોસ્ટરોમાં ક્રાંતિકારી સેનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પોસ્ટરમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, ‘ક્રાંતિકારી સેનાને હવે ઝેન-જીની જરૂર છે.’ ભાજપે આ વિસ્તારમાં જૂના ચહેરાઓને જ ફરી વખત મેદાનમાં ઉતારતાં સ્થાનિક સ્તરે ભારે નારાજગી જોવા મળી રહી છે. બે દિવસ પહેલાં આ જ જગ્યાએ ઉમેદવાર અવનીબેન વિરુદ્ધ પોસ્ટર વોર શરૂ થયું હતું, જે હવે નીતિન દોંગા સુધી પહોંચ્યું છે. પોસ્ટર લગાવવાની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં એક અજાણ્યો શખ્સ મોઢે રૂમાલ બાંધીને રાત્રીના અંધકારમાં પોસ્ટરો લગાવતો નજરે પડે છે. તદુપરાંત અન્ય એક વાઇરલ થયેલા વીડિયોમાં માસ્ક પહેરેલો યુવક પોસ્ટર લગાવતો હોવાનું જણાઈ રહ્યું છે. જેથી આ શખ્સ કોણ છે અને તેની પાછળ કોનું મગજ કામ કરી રહ્યું છે તે દિશામાં હવે ચર્ચાઓ તેજ બની છે. રાત્રે યુવક મોં પર માસ્ક પહેરીને આવ્યો હતોશહેરના ભાયલી અને વાસણા રોડ વિસ્તારમાં અજાણ્યા શખ્સે મોં પર માસ્ક બાંધીને આ પોસ્ટર લગાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર ઘટના સીસીટીવીફૂટેજ કેદ થઈ હતી.
પાલિકાની ચૂંટણી:પોલીટેક્નિક બિલ્ડિંગનું કલેક્ટર દ્વારા નિરીક્ષણ
પાલિકાની ચૂંટણી બાદ થનારી મત ગણતરીના સેન્ટર પોલીટેક્નિક બિલ્ડિંગની જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયા દ્વારા ગુરુવારે મુલાકાત લેવામાં આવી હતી. જેમાં કલેક્ટર દ્વારા જ્યાં જ્યાં વોર્ડ મુજબ મત ગણતરી થવાની છે તે રૂમોની ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત મત ગણતરી માટે સ્ટ્રોંગ રૂમમાંથી વારાફરતી જે તે વોર્ડ મુજબ લાવવામાં આવનારા ઈવીએમ અને ત્યારબાદની પ્રક્રિયા અંગે પણ ચર્ચા કરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીટેક્નિક કોલેજ ખાતે 19 વોર્ડમાં પડેલા મતોની મત ગણતરી થશે. પોલીટેક્નિક કોલેજમાં વોર્ડ 1 થી લઈને વોર્ડ 3 માટે રૂમ નંબર 25માં મત ગણતરી કરાશે. ઉપરાંત વોર્ડ નંબર 4થી 6 માટે બીજા માળે રૂમ નંબર 84, વોર્ડ 7થી 9 માટે બીજા માળે રૂમ નંબર 85, વોર્ડ નંબર 10થી 12 માટે બીજા માળે રૂમ નંબર 78, વોર્ડ નંબર 13થી 15 માટે પહેલા માળે રૂમ નંબર 33 અને વોર્ડ નંબર 16થી 19 માટે પહેલા માળે ડ્રોઈંગ રૂમમાં મતગણતરી કેન્દ્ર ફાળવવામાં આવ્યાં છે. 76 બેઠકો માટે 258 ઉમેદવાર સ્પર્ધામાં રહ્યા (નોંધ - વોર્ડ 1થી 3 અને 10થી 12માં 1-1 બેઠકો બિનહરીફ થઈ)
વીજ વપરાશમાં વધારો:ગરમીનો પારો 400 થતાં વીજ માગ વધીને 2600 મેગાવોટ પર પહોંચી
કેટલાક દિવસથી તાપમાન વધતાં વડોદરા સહિતના એમજીવીસીએલ અંતર્ગત આવતા 7 જિલ્લામાં વીજ માગ વધીને આ સિઝનની રેકોર્ડબ્રેક 2600 મેગાવોટ પર પહોંચી છે. આજથી 15-20 દિવસ અગાઉ આ વીજમાગ 2400 મેગાવોટ હતી. જોકે સતત તાપમાન વધતાં વીજ માગમાં પણ 200 મેગાવોટનો વધારો થયો છે. લોકો દ્વારા ઉનાળામાં પોતાના ઘર-ઓફિસો અને શોરૂમમાં એસી-પંખા, કૂલરનો ધમધમાટ વધતો હોવાથી વીજળીનો વપરાશ વધે છે. હવે વીજમાગ વધતાં પિકઅપ લોડ મેનેજમેન્ટની કવાયત એમજીવીસીએલના અધિકારીઓ દ્વારા શરૂ કરાઈ છે. વીજ વપરાશ સાથે સંકળાયેલા તજ્જ્ઞોના જણાવ્યા મુજબ વીજ માગ અનેક ફેક્ટર પર આધારિત હોય છે, પણ જો અન્ય ફેક્ટર સ્થિર હોય તો એક ડિગ્રી તાપમાન વધતાં વીજ માગમાં 2થી 3 ટકાનો વધારો થતો હોય છે. આગામી એક મહિનામાં જો તાપમાન વધતું જશે તો 200 મેગાવોટ સુધીનો વધારો થાય તેવી શક્યતા છે. સોલાર ઉત્પાદન પણ વધતાં અગાઉ કરતાં વધારો ધીમેએક વીજ અધિકારીએ જણાવ્યું કે, ઉનાળામાં તાપમાન વધતાં વીજ માગ વધે છે પણ હવે લોકોએ સોલાર પ્લાન્ટ્સ પોતાના ઘર, ઓફિસ, ફેક્ટરીઓ પર પણ ફિટ કરાવ્યાં હોવાથી તેના થકી પણ વીજ ઉત્પાદન નોંધપાત્ર રીતે વધે છે. જેને લીધે વીજ માગનો વધારો અગાઉનાં વર્ષો કરતાં ધીમો હોય છે.
વલસાડના વૃદ્ધ સાથે ₹1.11 કરોડની ડિજિટલ એરેસ્ટ ઠગાઈ:સુરતની ગેંગના 4 સભ્યો ઝડપાયા, દુબઈ સુધી તાર
વલસાડ સાયબર ક્રાઈમ પોલીસે 'ડિજિટલ એરેસ્ટ'ના નામે સિનિયર સિટીઝન સાથે ₹1.11 કરોડની છેતરપિંડી આચરનાર સુરતની ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડ્યા છે. આ ઠગબાજોએ CBI અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપી વૃદ્ધને મની લોન્ડરિંગ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. આ ઘટનામાં ઉમરગામના 69 વર્ષીય આલોકકુમાર મૈતી ભોગ બન્યા હતા. ઠગબાજોએ તેમને ફોન કરીને જણાવ્યું હતું કે તેમના આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટનો ઉપયોગ નરેશ ગોયલના મની લોન્ડરિંગ કેસમાં થયો છે. વૃદ્ધને ડરાવવા માટે આરોપીઓએ Skype પર વીડિયો કોલ કર્યો હતો અને પોતાની ઓળખ TRAI, CBI અને સુપ્રીમ કોર્ટના અધિકારી તરીકે આપી હતી. આરોપીઓએ સુપ્રીમ કોર્ટના નકલી સ્ટેમ્પવાળો ઓર્ડર પણ બતાવ્યો હતો અને વૃદ્ધના જામીન નામંજૂર થયા હોવાનું કહી તેમને વિશ્વાસમાં લીધા હતા. આ રીતે, તેમણે વૃદ્ધ પાસેથી કુલ ₹1,11,11,111/- (એક કરોડ અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા) ટ્રાન્સફર કરાવી લીધા હતા. વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પીઆઈ એચ.જી. રબારીની ટીમે ટેકનિકલ એનાલિસિસ દ્વારા તપાસ હાથ ધરી હતી. તપાસમાં સામે આવ્યું કે છેતરપિંડીના નાણાં સુરતના ખાતાધારકોના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા. બાતમીના આધારે પોલીસે સુરત અને કતારગામ વિસ્તારમાં દરોડા પાડી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં મુકેશ અનંતભાઈ પોળેકર (રહે. કતારગામ, સુરત), જય જમનભાઈ રાંક (ઉં.વ. 21, રહે. કતારગામ, સુરત), રોહિતકુમાર નિતેશભાઈ મુંજાણી (મૂળ ભાવનગર, હાલ સુરત) અને નિર્મળ નિતિનભાઈ સોલંકી (મૂળ ઉના, હાલ સુરત)નો સમાવેશ થાય છે. તપાસમાં ખુલાસો થયો છે કે પકડાયેલા આરોપીઓ કમિશનના બદલામાં નાણાં ઉપાડતા હતા અને સની નામના શખ્સ મારફતે આ રકમ દુબઈ મોકલવામાં આવતી હતી. આ કેસમાં આશિષ પટેલ, સની અને હર્ષિલ નામના અન્ય ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા છે. પોલીસે વૃદ્ધના ₹20,94,991/- (વીસ લાખ ચોરાણું હજાર નવસો એકાણું રૂપિયા) હોલ્ડ કરાવીને પરત મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે. વલસાડ પોલીસે નાગરિકોને આવા ફ્રોડથી સાવચેત રહેવા અપીલ કરી છે. પોલીસે જણાવ્યું છે કે, કોઈપણ સરકારી એજન્સી વીડિયો કોલ દ્વારા ડિજિટલ એરેસ્ટ કરતી નથી. તેમજ, કોઈ અધિકારી ફોન પર OTP, પિન કે પાસવર્ડ માંગતા નથી. જો કોઈ તપાસના નામે સેફ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવાનું કહે, તો તે છેતરપિંડી જ છે. આવા શંકાસ્પદ કિસ્સામાં તુરંત 1930 હેલ્પલાઈન પર સંપર્ક કરવા જણાવાયું છે.
દમણ RTOમાં CBIનો દરોડો:લાંચ કેસમાં RTO અધિકારી બિપિન પવાર અને એજન્ટની ધરપકડ, રિમાન્ડ મંજૂર
દમણ RTO કચેરીમાં સીબીઆઈએ લાંચ કેસમાં કાર્યવાહી કરી છે. મુંબઈ સીબીઆઈની ટીમે બુધવારે સાંજે દમણની નવી RTO કચેરીમાં છટકું ગોઠવીને ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં RTO ઇન્સ્પેક્ટર બિપિન પવાર અને સેલવાસના એજન્ટ મુકુંદ કોંકણીની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈના એક અરજદાર દ્વારા નવા વાહનના પાસિંગ અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે લાંચ માંગવામાં આવી હોવાની લેખિત ફરિયાદના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. સીબીઆઈએ કચેરીમાંથી અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો અને શંકાસ્પદ ફાઇલો જપ્ત કરી હતી. સઘન પૂછપરછ બાદ ધરપકડ કરાયેલા બંને આરોપીઓને સેલવાસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે RTO અધિકારી બિપિન પવારના પાંચ દિવસના અને એજન્ટ મુકુંદ કોંકણીના ત્રણ દિવસના સીબીઆઈ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે. વધુ તપાસ માટે મુંબઈ સીબીઆઈ બંનેને મુંબઈ લઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, 2009-10માં આ કચેરી સી-ફેસ રોડ પરથી અહીં શિફ્ટ થઈ ત્યારથી અત્યાર સુધીમાં સીબીઆઈએ 3 થી 4 વખત દરોડા પાડ્યા છે. અગાઉ પણ બે RTO ઇન્સ્પેક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવા છતાં, ભ્રષ્ટાચારનું આ નેટવર્ક સક્રિય રહ્યું છે. હાલમાં સીબીઆઈ દ્વારા તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે. આ કેસનો રેલો પડોશી સંઘપ્રદેશ સેલવાસ સુધી પહોંચવાની અને આ સાંઠગાંઠમાં અન્ય વહીવટી અધિકારીઓ તેમજ મોટા માથાઓના નામ ખુલવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
સુરત મહાનગરપાલિકામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાણીની લાઇનના સમારકામ સાથે જોડાયેલા ઇજારદાર રવીન્દ્ર ખેરનારને ભાજપે ઉધના (વૉર્ડ નં. 24) ના ઉમેદવાર જાહેર કરતા જ મોટો વહીવટી અને કાયદાકીય વિવાદ સર્જાયો છે. ચૂંટણી લડવા માટે કામગીરી અધવચ્ચે છોડી દેતા પાલિકા તંત્રએ હવે આકરા પગલાં લેવાની તૈયારી કરી છે. લોકહિતના કામો ખોરવાતા પાલિકાની લાલ આંખઇજારદાર રવીન્દ્ર ખેરનારની એજન્સી પાલિકામાં અત્યાધુનિક કેમેરા ઇન્સ્પેક્શન ટેકનોલોજી દ્વારા ગંદા પાણીના મિશ્રણ અને લીકેજ શોધવાનું મહત્વનું કામ કરતી હતી. ફેબ્રુઆરી 2026માં મળેલા વર્ક ઓર્ડર મુજબ 15 લાખના કામ સામે માત્ર 2.50 લાખનું કામ જ પૂર્ણ થયું છે. મુખ્ય ઇજારદાર ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થતા નિષ્ણાતો અને મશીનરીના અભાવે શહેરના અનેક વિસ્તારોમાં પાણી-ગટરના ફોલ્ટ શોધવાની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે, જેનાથી નાગરિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. કાયદાકીય ગૂંચ અને લાયસન્સ સરન્ડરનો આદેશપાલિકાના નિયમો મુજબ, કોઈ પણ ચાલુ ઇજારદાર આર્થિક લાભ મેળવતો હોય ત્યાં સુધી ચૂંટણી લડી શકે નહીં. હાઇડ્રોલિક વિભાગ અને ઉધના ઝોને ખેરનારને તાત્કાલિક અસરથી તેમનું લાયસન્સ સરન્ડર કરવા તાકીદ કરી છે. અધિકારીઓના મતે, પૂર્વ મંજૂરી વિના કામ અટકાવવું એ કરારનો સીધો ભંગ છે, જેના માટે કાયદાકીય અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે. સંભવિત દંડાત્મક કાર્યવાહીપાલિકા કમિશનર કચેરી દ્વારા તૈયાર કરાયેલી દરખાસ્ત મુજબ ઇજારદાર સામે કડક પગલાં લેવાઈ શકે છે. કામ અધૂરું છોડવા બદલ સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત કરવામાં આવશે. ભવિષ્યમાં પાલિકાના કોઈ પણ ટેન્ડરમાં ભાગ ન લઈ શકે તે માટે એજન્સીને 5 વર્ષ માટે ડિબાર કરવાની ભલામણ. એજન્સીનું બાકી નીકળતું અંદાજે 2.50 લાખનું પેમેન્ટ હાલ અટકાવી દેવાયું છે. સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મળતા જ સત્તાવાર રીતે કોન્ટ્રાક્ટ રદ કરી નવા ઇજારદારની પ્રક્રિયા હાથ ધરાશે. વહીવટી તંત્રના આ કડક વલણથી સ્પષ્ટ થાય છે કે ચૂંટણી લડવી એ વ્યક્તિગત હક હોવા છતાં, તેના કારણે જાહેર જનતાના કામોમાં અવરોધ ઊભો કરનાર સામે પાલિકા કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા તૈયાર નથી.
વલસાડની સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીરા પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં એક આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આરોપી શંકરભાઈ કિશનભાઈ વાલવીએ બીમારી મટાડવાના બહાને સગીરાનો વિશ્વાસ કેળવી આ કૃત્ય આચર્યું હતું. કોર્ટે આરોપીને કુલ ₹26,000નો દંડ પણ ફટકાર્યો છે. આ ઘટના કપરાડા તાલુકાના એક ગામમાં બની હતી. સગીર વયની બાળકીની તબિયત ખરાબ રહેતી હોવાથી, તેના પરિવારજનો તેને કપરાડાના આસલોના ગામના શંકર વાલવીના ઘરે લઈ ગયા હતા. આરોપીએ પરિવારને વિશ્વાસમાં લેતા કહ્યું હતું કે તે છોકરીને સાજી કરી દેશે અને પ્રાર્થનાથી બધું સારું થઈ જશે. આરોપીની વાતોમાં આવીને ભોળા પરિવારે પોતાની દીકરીને તેના ઘરે મૂકી હતી. આનો લાભ ઉઠાવી, 6 ઓક્ટોબર, 2025ના રોજ આરોપી સગીરાને બાઈક પર બેસાડી દિવસભર અલગ-અલગ જગ્યાએ ફેરવી હતી. ત્યારબાદ મોડી રાત્રે દાદરા નગર હવેલી અને ગુજરાતની બોર્ડર પર આવેલા ડુંગર પર લઈ જઈ સગીરાની ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે કપરાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કેસ વલસાડની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલ્યો હતો. સરકારી વકીલ બી. આર. પ્રજાપતિની દલીલો અને રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ જજે આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો. કોર્ટે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 65(1) હેઠળ 20 વર્ષની સખત કેદ અને ₹10,000 દંડ, તેમજ પોક્સો એક્ટની કલમ 4(2) હેઠળ 20 વર્ષની સખત કેદ અને ₹10,000 દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, અન્ય કલમો (64(2)(J) અને 68(A)) હેઠળ પણ કેદ અને દંડની સજા કરવામાં આવી છે, જેનો કુલ દંડ ₹26,000 થાય છે. કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે સમાજમાં આવા કૃત્યો કરનારા લોકો પ્રત્યે કોઈ રહેમ રાખવી જોઈએ નહીં. આ ચુકાદાથી આવા ગુનાઓ આચરનારા તત્વોમાં કાયદાનો ભય પેદા થયો છે.
સુરતના અડાજણ વિસ્તારમાં ગત બુધવારે સાંજે બનેલી અપહરણની સનસનીખેજ ઘટનામાં મોટો ખુલાસો થયો છે. પોલીસે ગણતરીના કલાકોમાં માસૂમ યક્ષને હેમખેમ છોડાવી લીધો છે. ચોંકાવનારી વિગત એ છે કે, આ અપહરણ પાછળ કોઈ ગેંગ નહીં પરંતુ બાળકના સગા કાકાએ જ કૌટુંબિક અદાવતમાં પોતાની ભાભીને પાઠ ભણાવવા આ કાવતરું ઘડ્યું હતું. ગાર્ડનમાંથી ફિલ્મી ઢબે અપહરણગત 15 એપ્રિલના રોજ સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં યક્ષ જ્યારે સોસાયટીના ગાર્ડનમાં રમી રહ્યો હતો, ત્યારે એક કાર ચાલક તેને લલચાવી-ફોસલાવીને કારમાં બેસાડી ફરાર થઈ ગયો હતો. પરિવારે શોધખોળ બાદ અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શન મોડમાં આવી હતી. કૌટુંબિક કંકાસ અને વેરની વસૂલાતપોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ ગુના પાછળ ઘરનો જ સભ્ય જવાબદાર હતો. આરોપી કાકાની પત્ની તેને છોડીને જતી રહી હતી. તેને શંકા હતી કે આ પારિવારિક વિખવાદ પાછળ તેની ભાભી જવાબદાર છે. ભાભી પર દબાણ લાવવા અને તેમને માનસિક ત્રાસ આપવા માટે કાકાએ પોતાના જ માસૂમ ભત્રીજાને હથિયાર બનાવી તેનું અપહરણ કર્યું હતું. અગાઉ બાળકના પિતા પણ બ્લેકમેલિંગના વિવાદમાં ફસાઈ ચૂક્યા છે, જે દર્શાવે છે કે પરિવારમાં લાંબા સમયથી ખટરાગ ચાલતો હતો. પોલીસનું સફળ ઓપરેશનસીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે શંકાના આધારે કાકાની પૂછપરછ કરતા સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો. પોલીસે બાળકને હેમખેમ છોડાવી રાત્રે જ તેની માતા સાથે મિલન કરાવ્યું હતું. અડાજણ પોલીસે આરોપી કાકાની અટકાયત કરી છે અને આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી છે.
લુણાવાડા હાઇવે પર ખાડાથી અકસ્માતો વધ્યા:અંબે માતા મંદિર પાસે હાઇવે ઓથોરિટીની બેદરકારી
મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાંથી પસાર થતા ગોધરા-મોડાસા મુખ્ય હાઇવે પર હાઇવે ઓથોરિટીની ગંભીર બેદરકારી સામે આવી છે. અંબે માતાના મંદિર પાસે હાઇવેની વચ્ચોવચ પડેલા એક મોટા ખાડાને કારણે વાહનચાલકો સતત અકસ્માતનો ભોગ બની રહ્યા છે. મળતી માહિતી મુજબ, આ ખાડામાં માત્ર ડસ્ટ નાખીને કામચલાઉ પુરાણ કરવામાં આવ્યું છે. યોગ્ય લેવલિંગ ન કરાતા આ રસ્તો વાહનચાલકો માટે વધુ જોખમી બન્યો છે, ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે. તાજેતરમાં, એક સ્કૂટર ચાલક આ ખાડામાં લેવલિંગ વિનાના પુરાણને કારણે નીચે પટકાયો હતો. આ અકસ્માતમાં તેને ઇજાઓ પહોંચી હતી અને તેના વાહનને પણ ભારે નુકસાન થયું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ ખાડાને કારણે અત્યાર સુધીમાં અનેક વાહનચાલકો અકસ્માતનો ભોગ બની ચૂક્યા છે. તેમ છતાં, હાઇવે ઓથોરિટી દ્વારા હજુ સુધી આ અંગે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે આ ખાડાને યોગ્ય રીતે પૂરીને રિપેર કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટો અકસ્માત ટાળી શકાય.
ભારતમાં પ્રથમ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ અમદાવાદ અને મુંબઇ વચ્ચે સાકાર થવા જઇ રહ્યો છે. તેમજ દેશને આત્મનિર્ભર બનાવવાના વડાપ્રધાન મોદીના સપનાને પૂરા કરવાના પર્યાસો શરુ થયા છે. હવે એવા પ્રયાસો પણ શરૂ થયા છે કે જેનાથી ભવિષ્યમાં હાઇ સ્પીડ ટ્રેન પણ મેઇડ ઇન ઇન્ડિયા હશે. આ દિશામાં આગળ વધતા અમદાવાદ-મુંબઇ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન (NHSRCL) દ્વારા રક્ષા મંત્રાલય હસ્તકની ભારતની નવરત્ન ગણાતી કંપની BEML લિમિટેડને ટ્રેનની ડિઝાઇન, ઉત્પાદન, ટેસ્ટિંગ, મેન્ટેનન્સ અને સંલગ્ન કામગીરી માટે સિંગલ ટેન્ડર (એક જ નિર્ધારિત કંપનીને ટેન્ડર) જારી કરાયુ છે. આ કંપની સંરક્ષણ, રેલવે, ઊર્જા, ખનન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં મશીનરી ઉત્પાદન અને મહત્વપૂર્ણ સેવાઓ પૂરી પાડે છે. આ ટેન્ડર અનુસાર કંપનીએ હાઇ સ્પીડ ટ્રેનની ડિઝાઇન બનાવવાથી શરૂ કરીને તેનું ઉત્પાદન, ટેસ્ટિંગ, તેનું કમિશનિંગ (ટ્રેનને કાર્યાન્વિત કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર કરવી) અને લાંબા ગાળાના મેન્ટેનન્સની કામગીરી કરવાની રહેશે. ભારતમાં સ્વદેશી હાઇ સ્પીડ ટ્રેન નિર્માણના ભવિષ્યલક્ષી વિઝન અનુસાર આ પ્રયાસો શરૂ કરાયા છે. અમદાવાદ-મુંબઇ વચ્ચે 508 કિમી હાઇ સ્પીડ રેલ કોરિડોરઅમદાવાદ અને મુંબઇ વચ્ચે ભારતનો પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાકાર થઇ રહ્યો છે. તેના માટે 508 કિલોમીટરનો રેલ કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે, જેમાંથી ગુજરાત અને દાદરા-નગર હવેલીમાં 352 કિલોમીટર અને મહારાષ્ટ્રમાં 156 કિલોમીટરનો રૂટ રહેશે. આ ટ્રેનના રૂટમાં 12 સ્ટેશન રહેશે, જેમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલીમોરા, વાપી, બોઇસર, વિરાર, થાણે અને મુંબઈનો સમાવેશ થાય છે. દેશમાં 7 નવા હાઇ સ્પીડ રેલ કોરિડોર બનાવવાની જાહેરાતનાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2026-27માં રેલવે કનેક્ટિવિટીને નવો આકાર આપવા માટે 7 હાઇ સ્પીડ રેલ કોરિડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. તેમાં મુંબઈથી પુણે, પૂણેથી હૈદરાબાદ, હૈદરાબાદથી બેંગલુરુ, હૈદરાબાદથી ચેન્નઈ, ચેન્નઈથી બેંગલુરુ, દિલ્હીથી વારાણસી અને વારાણસીથી સિલિગુડી કોરિડોર સામેલ છે. આ કોરિડોર નિર્માણથી ઉત્તર અને પૂર્વ ભારત તેમજ દક્ષિણ ભારત અને પશ્વિમ ભારતના વિસ્તારોમાં કનેક્ટિવિટીનો વ્યાપ વધશે. નાણામંત્રીના જણાવ્યા અનુસાર આ નિર્ણય પર્યાવરણને અનુકૂળ ટકાઉ પેસેન્જર પ્રણાલીને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યો છે જેનાથી શહેરો વચ્ચે જોડાણ વધશે અને તેમના વિકાસને ગતિ મળશે.
પંચમહાલ જિલ્લામાં ૨૦૨૬ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નાગરિકોની ભાગીદારી વધારવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સ્વીપ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ યુવા મતદારોને જાગૃત કરવાનો છે.ચૂંટણી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લાની વિવિધ તાલુકાઓની પ્રાથમિક શાળાઓમાં અનેક પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. વિદ્યાર્થીઓ આ પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર જોડાઈને લોકજાગૃતિ ફેલાવી રહ્યા છે. અભિયાન હેઠળ વિવિધ શાળાઓમાં ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, નિબંધ લેખન અને વકૃત્વ સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓ દ્વારા લોકશાહીમાં મતના મૂલ્ય વિશે સમજ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ રેલીઓ પણ કાઢવામાં આવી હતી. આ રેલીઓમાં મારો મત, મારો અધિકાર, લોકતંત્રનો ભાગ્ય વિધાતા હોય છે જાગૃત મતદાતા અને દેશના વિકાસ માટે મતદાન જેવા નારા લગાવવામાં આવ્યા હતા. બાળકોએ પ્લેકાર્ડ્સ અને સૂત્રોચ્ચાર દ્વારા વાલીઓ તથા ગ્રામજનોને અચૂક મતદાન કરવા અપીલ કરી હતી.
હિંમતનગર તાલુકા પંચાયતની ચૂંટણીમાં નિકોડા બેઠક બિનહરીફ જાહેર થઈ છે. ભાજપના ઉમેદવાર નિર્મલ પટેલ બિનહરીફ વિજેતા બન્યા છે. આ બેઠક પરથી ફોર્મ પરત ખેંચનાર કોંગ્રેસના હરીફ ઉમેદવાર પોપટભાઈ પટેલ નિકોડા અને આસપાસના 45થી વધુ કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આ કાર્યક્રમ હિંમતનગરમાં જિલ્લા કાર્યાલય ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લા પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલા, હિંમતનગર વિધાનસભાના ધારાસભ્ય વી.ડી. ઝાલા, જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, મહામંત્રી બિપીનભાઈ ઓઝા અને પ્રેમલભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, જિલ્લા ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ, તાલુકા પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, મહામંત્રી ભગીરથસિંહ ઝાલા અને યુવા મોરચાના તાલુકા પ્રમુખ ભાવિકભાઈ રબારી સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જોરશોરથી પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા શહેરના પરિવાર ચાર રસ્તા ખાતે વિકાસ સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના ઈલેક્શન વોર્ડ નંબર 4, 5, 6, 14, 15 અને 16ના ભાજપના ઉમેદવારો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં જાહેર સભા યોજાઈ હતી. માતા-બહેનો અને દીકરીઓ માટે નેતૃત્વનો નવો સૂર્યોદયસભા દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આદિવાસી પ્રદેશોના પ્રવાસ દરમિયાન મહિલા સશક્તિકરણ અને નારી શક્તિ વંદન અધિનિયમને ઐતિહાસિક પગલું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આજનો દિવસ ઇતિહાસમાં સ્વર્ણાક્ષરે અંકિત થશે, કારણ કે માતા-બહેનો અને દીકરીઓ માટે નેતૃત્વનો નવો સૂર્યોદય થયો છે. દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુરના પ્રવાસ દરમિયાન બહેનો અને દીકરીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિવાદન અને આશીર્વાદ આપ્યા હતા. દેશ ગંગા અને ગીતાથી તેમજ દુર્ગા અને મા અંબાથી ઓળખાય છે. દેશના ઇતિહાસમાં નારીઓનું સન્માન સર્વોચ્ચ પદે રહ્યું છે. કોંગ્રેસે આ બિલનો વિરોધ કેમ કર્યો?તેમણે વડાપ્રધાનને બંને હાથ જોડીને વંદન કરતાં આભાર માન્યો અને કહ્યું કે, આવનારા દિવસોમાં નારી શક્તિ વંદન અધિનિયમ અન્વયે સંસદમાં 33 ટકા મહિલાઓને નેતૃત્વનો અવસર મળશે. સંઘવીએ ભાઈઓને સંબોધતાં કહ્યું, ભાઈઓ દુ:ખી ન થશો, બહેનો તમારું કંઈ લૂંટી લેવાની નથી. તેમણે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને પ્રશ્ન કરતાં પૂછ્યું, રાહુલ ગાંધીની બહેન, અખિલેશ યાદવની પત્ની સાંસદ બની શકે છે, લાલુ પ્રસાદ યાદવની પત્ની મુખ્યમંત્રી બની શકે છે, તો ગુજરાતની સામાન્ય દીકરી સંસદમાં કેમ બેસી શકે નહીં? કોંગ્રેસે આ બિલનો વિરોધ કેમ કર્યો? કોંગ્રેસીઓએ બિલનો વિરોધ કર્યો તેની શરમ આવવી જોઈએવધુમાં કહ્યું કે, ગુજરાતની સામાન્ય પરિવારની બહેનો અને દીકરીઓએ સાંસદ બનવું જ જોઈએ. કોંગ્રેસીઓએ આ બિલનો વિરોધ કર્યો તેની શરમ આવવી જોઈએ. એક તરફ પરિવારવાદી રાજનીતિ અને બીજી તરફ વડાપ્રધાનના ઉત્તમ વિચારો વચ્ચે તફાવત સ્પષ્ટ છે. મોટા નેતાઓની દીકરીઓ કે પત્નીઓ નહીં, પરંતુ દેશની સામાન્ય વર્ગની દીકરીઓ સંસદમાં પ્રતિનિધિત્વ કરશે. ચૂંટણી પહેલાં જ લોકોએ તેમનો હિસાબ કરી દીધોહર્ષ સંઘવીએ ગુજરાતની જનતા અને ભાજપને દુનિયાનું સૌથી મોટું સહકુટુંબ ગણાવ્યું હતું. તેમણે રાજ્યના હિતમાં નાગરિકો સાથે મળીને ગુજરાતને દેશનું નંબર-1 રાજ્ય બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે જો કોંગ્રેસ કે તેના સાથી પક્ષો ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કરે તો ગુજરાતીઓ તેમને ક્યારેય છોડતા નથી. ચૂંટણી પહેલાં જ લોકોએ તેમનો હિસાબ કરી દીધો છે. રાજ્યની 720 સીટો પર ભાજપનો સીધો વિજય થયોતેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસીઓ અને આમદ આદમી પાર્ટી EVMને દોષ આપે છે, પરંતુ આ વર્ષે EVM તેમજ કોંગ્રેસીઓ બંને થાકી ગયા છે. કોંગ્રેસને ઉમેદવારો પણ મળતા નથી અને તે દેશની સૌથી ખરાબ હાર તરફ આગળ વધી રહી છે. ગુજરાતમાં 200થી વધુ સીટો પર ભાજપનો વિજય થયો છે. જેમને જાહેર માહોલ સમજાતો હતો અને લોકો તેમને ઘરમાં ઘૂસવા દેતા નહોતા, તેમણે પોતાના ફોર્મ પરત ખેંચી લીધા હતા. રાજ્યની 720 સીટો પર ભાજપનો સીધો વિજય થયો છે. સંઘવીએ આહ્વાન કર્યું કે દસ હજારનો આંકડો આપણે સાથે મળીને પાર કરવાનો છે, જેથી ભવિષ્યમાં કોઈ પક્ષ ગુજરાતી કે ગુજરાતને બદનામ કરવાની હિંમત ન કરી શકે. ગુજરાતને બદનામ કરનારાઓના છાપરા પડી ગયાપ્રવાસ દરમિયાનના અનુભવનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું, પંજો અભરાઈ ગયો છે, કાર્યાલયોના શટરો બંધ દેખાય છે. ગુજરાતને બદનામ કરનારાઓના છાપરા પડી ગયા છે. તેમણે લોકોને સલાહ આપી કે જો આવા લોકો તમારી સોસાયટીમાં આવે તો તેમને બહાર કાઢતા પહેલાં એક સવાલ પૂછજો “ખડગેજીને આ સ્ટેટમેન્ટ ગુજરાત કોંગ્રેસ પ્રમુખે કે રાહુલ ગાંધીએ લખી આપ્યું હતું?” પાર્ટી બદલીને વિપક્ષમાં ગયા તેઓ ઘર ભેગા થવાનાપૂર્વ ભાજપના સસ્પેન્ડ થયેલા અને હાલ કોંગ્રેસનો હાથ પકડનાર આશિષ જોષીને નામ લીધા વગર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, તાયફો કરનારા જનસેવકોથી વડોદરાના વાસીઓ કંટાળી ગયા છે. જે લોકો પાર્ટી બદલીને વિપક્ષમાં ગયા છે, તેઓ ઘર ભેગા થવાના છે. લોકો પૂછે છે કે તમે માત્ર વિરોધ જ કરો છો? આ વખતે લોકો તેમને ઘર ભેગા કરવાના છે.
સુરત મહાનગરપાલિકાની 2026ની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતપોતાના ચૂંટણી ઢંઢેરા જાહેર કરી દીધા છે. ભારતીય જનતા પાર્ટીએ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી દ્વારા શહેરને વૈશ્વિક સ્તરે લઈ જવાની ખાતરી આપી છે. બીજી તરફ, કોંગ્રેસે મધ્યમ વર્ગને કરવેરામાં મોટી રાહતો આપીને આર્થિક બચત કરાવવાનું વચન આપ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટીએ મફત વીજળી અને પાણીની ગેરંટી આપીને સામાન્ય જનતાને સીધો ફાયદો પહોંચાડી મતદારોને પ્રભાવિત કરવાનો વ્યૂહાત્મક પ્રયાસ શરૂ કર્યો છે. ભાજપનું સ્માર્ટ સુરત અને આધુનિક શિક્ષણભાજપના 'સંકલ્પ પત્ર 2026' માં સુરતને સ્માર્ટ અને હાઈટેક સિટી બનાવવાનો મજબૂત રોડમેપ રજૂ કરવામાં આવ્યો છે. પક્ષે પ્રાથમિક શિક્ષણથી આગળ વધીને હવે મહાનગરપાલિકા હસ્તકની નવી આધુનિક કોલેજો શરૂ કરવાનું વચન આપ્યું છે. આ શૈક્ષણિક સંસ્થાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ અને ડ્રોન ટેકનોલોજી જેવા અદ્યતન વિષયોનો સમાવેશ કરવામાં આવશે. ભાજપ ટેકનોલોજીના માધ્યમથી સુરતના વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્પર્ધા માટે તૈયાર કરવા માંગે છે, જે શહેરના શૈક્ષણિક સ્તરમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાની સંભાવના ધરાવે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પરિવહન પર ભાજપનો ભારભાજપે સુરતના ભૌતિક વિકાસ માટે અનેક આઈકોનિક પ્રોજેક્ટ્સની જાહેરાત કરી છે, જેમાં 107.60 મીટર ઊંચું નવું વહીવટી ભવન મુખ્ય આકર્ષણ છે. શહેરમાં 24 કલાક શુદ્ધ પાણીનો પુરવઠો અને સિમેન્ટ કોંક્રીટના ટકાઉ રસ્તાઓ બનાવવાનો સંકલ્પ લેવાયો છે. 'વન સિટી વન કાર્ડ' યોજના દ્વારા મેટ્રો, BRTS અને સિટી બસમાં એક જ કાર્ડથી મુસાફરીની સુવિધા અપાશે. આ ઉપરાંત, સોલર પ્લાન્ટ દ્વારા પાલિકાનું વીજળી બિલ શૂન્ય કરવાનું લક્ષ્ય રાખી પર્યાવરણ અને આર્થિક બચતનો સમન્વય સાધવામાં આવ્યો છે. કોંગ્રેસની કરમુક્તિ અને મહિલા કલ્યાણ યોજનાકોંગ્રેસે પોતાના ઢંઢેરામાં મધ્યમ વર્ગ અને મહિલાઓને આર્થિક રાહત આપવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પક્ષે વચન આપ્યું છે કે, જે મિલકતો મહિલાઓના નામે હશે, તેમના વેરામાં સીધો 50 ટકાનો ઘટાડો કરવામાં આવશે. આ ઉપરાંત, મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે સિટી બસમાં મુસાફરી સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવાની જાહેરાત કરાઈ છે. મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા માટે દરેક ઝોનમાં 'મહિલા સંચાલિત વિકએન્ડ બજાર' શરૂ કરવામાં આવશે, જે ગૃહિણીઓને સ્વરોજગારની નવી તકો પૂરી પાડશે. આરોગ્ય અને શ્રમિકો માટે કોંગ્રેસના વાયદાશહેરના મહેનતુ સુરતીઓ અને શ્રમિક વર્ગ માટે કોંગ્રેસે 'ઇન્દિરા કેન્ટીન' શરૂ કરવાનું વચન આપ્યું છે, જ્યાં માત્ર 5 રૂપિયામાં પૌષ્ટિક ભોજન મળી રહેશે. આરોગ્ય ક્ષેત્રે પક્ષે દરેક ઝોનમાં આધુનિક હેલ્થ સેન્ટરો સ્થાપવાની અને વરિષ્ઠ નાગરિકોને મફત હેલ્થ કાર્ડ આપવાની ખાતરી આપી છે. ખાડી પૂરનો કાયમી નિકાલ કરવા માટે અલગ ફંડની જોગવાઈ અને પર્યાવરણ જાળવણી માટે વાર્ષિક 10 ટકા ગ્રીન કવર વધારવાનું લક્ષ્ય કોંગ્રેસના પ્રજાલક્ષી અભિગમને સ્પષ્ટપણે દર્શાવે છે. આમ આદમી પાર્ટીનું શિક્ષણ અને આરોગ્ય મોડલઆમ આદમી પાર્ટીએ સુરતમાં પણ દિલ્હી અને પંજાબની જેમ 'ફ્રી મોડલ' પર દાવ ખેલ્યો છે. પક્ષના 'અધિકાર પત્ર' મુજબ સરકારી શાળાઓને ખાનગી શાળાઓ કરતા વધુ આધુનિક બનાવવાની ગેરંટી આપવામાં આવી છે. આરોગ્ય સુવિધાઓમાં સુધારો કરવા માટે દરેક વોર્ડમાં જનતા ક્લિનિક અને હાઈટેક સરકારી હોસ્પિટલો બનાવવાનું વચન અપાયું છે. આપનો મુખ્ય એજન્ડા શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓને નફાખોરીથી મુક્ત કરી સામાન્ય જનતા માટે સુલભ બનાવવાનો છે, જે મધ્યમ વર્ગને આકર્ષી શકે છે. મફત વીજળી, પાણી અને રોજગાર ગેરંટીઆમ આદમી પાર્ટીએ મધ્યમ અને ગરીબ વર્ગને આકર્ષવા માટે મફત વીજળી અને શુદ્ધ પાણી આપવાની મોટી જાહેરાત કરી છે. પક્ષે યુવાનો માટે રોજગારની તકો ઊભી કરવાની અથવા રોજગાર ન મળે ત્યાં સુધી બેરોજગારી ભથ્થું આપવાની ગેરંટી આપી છે. મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે માસિક સહાય યોજનાની પણ દરખાસ્ત મૂકવામાં આવી છે. આપની આ વ્યૂહરચના સીધી રીતે ઘરગથ્થુ બજેટમાં રાહત આપતી હોવાથી ચૂંટણીમાં મોટો નિર્ણાયક પરિબળ સાબિત થઈ શકે તેમ રાજકીય વિશ્લેષકો માને છે. તાપી નદી અને પર્યાવરણની જાળવણીસુરતની જીવાદોરી સમાન તાપી નદીના મુદ્દે ત્રણેય પક્ષોએ અલગ-અલગ અભિગમ અપનાવ્યો છે. ભાજપ તાપી રિવરફ્રન્ટના વિકાસ અને પ્રવાસન પર ભાર મૂકે છે, જ્યારે કોંગ્રેસે નદીના શુદ્ધિકરણ માટે અલાયદું ફંડ ઉભું કરી જળચર પ્રાણીઓની જાળવણીનું વચન આપ્યું છે. આમ આદમી પાર્ટી પ્રદૂષણ મુક્ત તાપી અને ગ્રીન સુરત માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાની ખાતરી આપી રહી છે. પર્યાવરણના રક્ષણ માટે સોલર એનર્જી અને પ્લાન્ટેશન ડ્રાઈવ ત્રણેય પક્ષોના એજન્ડામાં સમાન રીતે મહત્વના મુદ્દાઓ તરીકે સ્થાન પામ્યા છે. ટ્રાફિક સમસ્યા અને વહીવટી પારદર્શિતાશહેરની ગંભીર ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે ભાજપ ડ્રોન મોનિટરિંગ અને એરિયલ લેડર પ્લેટફોર્મ જેવી ટેકનોલોજીનો પ્રસ્તાવ મૂકે છે. કોંગ્રેસે આડેધડ ઈ-ચલણથી જનતાને મુક્તિ અપાવવાની અને પાર્કિંગ વ્યવસ્થા સુધારવા રહેઠાણ મિલકતોની FSI વધારવાની વાત કરી છે. વહીવટમાં પારદર્શિતા લાવવા માટે કોંગ્રેસે સિંગલ વિન્ડો સિસ્ટમ અને આપ દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી કડક પગલાંની ગેરંટી અપાઈ છે. ત્રણેય પક્ષો સુરતીઓને વહીવટી જટિલતાઓમાંથી મુક્તિ અપાવી ઓનલાઈન સેવાઓ વધુ સુદ્રઢ બનાવવા માટે સંમત દેખાય છે. સાંસ્કૃતિક વારસો અને રમત-ગમતની સુવિધાસુરતીઓની જીવનશૈલીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે દરેક ઝોનમાં 'ફેસ્ટિવલ પાર્ક' અને રમત-ગમત માટે મોટા મેદાનો બનાવવાનું વચન આપ્યું છે. ભાજપે પોતાની પરંપરા મુજબ ધાર્મિક ઉત્સવો પર કતલખાના બંધ રાખવાની અને જીવદયા સંસ્થાઓને સહાયની નીતિ ચાલુ રાખવાની ખાતરી આપી છે. 'આપ' દ્વારા યુવા પેઢીને સ્પોર્ટ્સમાં આગળ લાવવા માટે આધુનિક ટ્રેનિંગ સેન્ટરોની સ્થાપના પર ભાર મૂકવામાં આવ્યો છે. આ સાંસ્કૃતિક અને રમત-ગમતલક્ષી વચનો સુરતના યુવા મતદારો અને મધ્યમ વર્ગના પરિવારોને આકર્ષવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા ‘વિજય વિશ્વાસ સભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં પાર્ટીના પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, દિલ્હીના ધારાસભ્ય સંજીવ ઝા, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટ, પ્રદેશ ઉપપ્રમુખ ગૌરી દેસાઈ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. સભામાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, કાર્યકર્તાઓ અને પક્ષના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીએ બાપુનગરના વિવિધ સ્થાનિક મુદ્દાઓ ઉઠાવ્યા હતા અને વર્તમાન શાસન સામે આક્ષેપો કર્યા હતા. આવનારા સમયમાં જનતા પરિવર્તન માટે ઝાડૂના નિશાનને મત આપશેપાર્ટીના નેતાઓએ દાવો કર્યો કે, ભ્રષ્ટ શાસનથી જનતા હવે કંટાળી ગઈ છે અને પરિવર્તન માટે તૈયાર છે. સભામાં ઉપસ્થિત લોકોએ આમ આદમી પાર્ટીને સમર્થન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. AAPના નેતાઓએ જણાવ્યું કે, આવનારા સમયમાં જનતા પરિવર્તન માટે ઝાડૂના નિશાનને મત આપશે અને રાજ્યમાં નવી રાજનીતિક દિશા આપશે. આમ આદમી પાર્ટી દ્વારા આ સભાને સફળ ગણાવીને આગામી ચૂંટણી માટે સકારાત્મક સંકેત તરીકે રજૂ કરવામાં આવી છે.
અમદાવાદ શહેરના બોપલના વીવીઆના ફ્લેટમાં ભાડેથી રહેતા યુવકના ઘરે ANTF સ્કવોડે રેડ કરી હતી.આ રેડ દરમિયાન ઘરમાંથી કોકેઇન,એમ.ડી ડ્રગ, હાઈબ્રીડ ગાંજો, દારુ તથા બિયરના ટીન મળી આવ્યા હતા.પોલીસે કુલ રૂ.18 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે બાકીના ચાર આરોપીની શોધખોળ શરુ કરી છે. 18 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડANTF સ્કોડને બાતમી મળી હતી કે, જેના આધારે બોપલ ઘુમા રોડ પાસેના આરોહી ક્લબ પાસે વીવીઆના ફ્લેટમાં રેડ કરી હતી ત્યારે ભાડેથી રહેતા નિશાંત સોલંકી નામના યુવકના ઘરમાંથી લાખો રૂપિયાના નશાના સમાનનો જથ્થો એન્ટી નાર્કોટીકસ ટાસ્ક ફોર્સે કબજે કરીને એક આરોપીની ધરપકડ કરી છે. એન્ટી નાર્કોટીકસ ટાસ્ક ફોર્સે 102.59 ગ્રામ એમ.ડી ડ્રગ, 46.64 ગ્રામ હાઈબ્રીડ ગાંજો, 8.88 ગ્રામ કોકેઇન અને વિદેશી દારુની 6 બોટલ તથા 24 બીયરના ટીન, 4 મોંઘાદાટ મોબાઈલ ફોન સહીત કુલ રૂ.18 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરીને ફરાર અન્ય ચાર આરોપીની તલાશ શરુ કરી છે. ફરાર આરોપીઓ
સુરત શહેર પોલીસની પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB) એ સચીન વિસ્તારમાં ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને દારૂની હેરાફેરી કરતા એક રાજસ્થાની શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસને થાપ આપવા માટે આરોપી એક જ લક્ઝરી ગાડીમાં ચાર અલગ-અલગ નંબર પ્લેટોનો ઉપયોગ કરતો હોવાની ચોંકાવનારી વિગત તપાસમાં સામે આવી છે. દારૂની હેરાફેરીમાં લક્ઝરી હ્યુન્ડાઇ ક્રેટા ગાડીનો ઉપયોગબુટલેગરો સામાન્ય રીતે જૂની કે સસ્તી ગાડીઓનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ આ કિસ્સામાં લક્ઝરી હ્યુન્ડાઇ ક્રેટા ગાડીનો ઉપયોગ થયો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, ગાડીનો સાચો નંબર GJ27-AP-2296 હતો. દરોડા સમયે ગાડી પર GJ21-BC-3070 નંબરની પ્લેટ હતી, જ્યારે ગાડીની અંદરથી અન્ય બે પ્લેટો (GJ05-JR-7924 અને GJ15-CD-9755) પણ મળી આવી હતી. હાઈવે પરના CCTV કેમેરા અને વિવિધ જિલ્લાના પોલીસ ચેકિંગથી બચવા માટે આરોપી સમયાંતરે રસ્તામાં જ નંબર પ્લેટ બદલી નાખતો હતો. 6 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડPCBની ટીમે વક્તાણા નહેર પાસે વોચ ગોઠવીને બાતમી મુજબની સફેદ ક્રેટા ગાડીને ઘેરી લીધી હતી. આ કાર્યવાહીમાં ઓમપ્રકાશ કનૈયાલાલ લખારા (ઉ.વ. 39), રહે. રાંદેર (મૂળ રાજસ્થાન), ની ધરપકડ કરવામાં આવી છે. ₹1.13 લાખનો દારૂ (402 બાટલી), ₹5 લાખની ક્રેટા ગાડી અને મોબાઈલ સહિત કુલ ₹6,23,880 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. દમણથી સુરતનું દારૂ કનેક્શનપૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો દમણના દેવકા બીચ પાસે રહેતા જ્યોતિ નામના શખ્સે મોકલ્યો હતો, જે સુરતના વેસુ વિસ્તારના ચિંતન ઉર્ફે ચિન્ટુ ને પહોંચાડવાનો હતો. પોલીસે હાલ આ બંને મુખ્ય સૂત્રધારોને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ અગાઉ આ મોડસ ઓપરેન્ડી (M.O.) સાથે કેટલી વાર દારૂ સુરતમાં ઘુસાડવામાં આવ્યો છે. સચીન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
વડોદરા ગ્રામ્ય એન્ટી કરપ્શન બ્યુરોએ અક્ષર ચોક ખાતે ટ્રેપ ગોઠવી પાદરા પોલીસ સ્ટેશનના પી.આઈ વતી 2 લાખની લાંચ લેતા એક ખાનગી વ્યક્તિને રંગેહાથ ઝડપી પાડ્યો છે. આ કેસમાં પાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર નહીં મળી આવતા તેમને વોન્ટેડ જાહેર કર્યા છે. કેસમાં કાર્યવાહી ન કરવા 6 લાખની લાંચ માગીપાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. ચારણે એક ઝઘડાના કેસમાં લવ જેહાદનો ગુનો બતાવી આગળની કાયદેસરની કાર્યવાહી ન કરવા માટે 6 લાખની લાંચની માંગણી કરી હતી. ફરીયાદી આટલી મોટી રકમ આપવા માટે સક્ષમ ન હોવાથી અંતે 2 લાખમાં સોદો નક્કી થયો હતો. આ રકમ ખાનગી વ્યક્તિ સાજીદઅલી ગુલામરસુલ સૈયદ મારફતે લેવાઈ રહી હતી. અધિકારી વતી લાંચ લેતો વચેટીયો રંગેહાથે ઝડપાયોફરીયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે વડોદરા ગ્રામ્ય એસીબીનો સંપર્ક કર્યો હતો. જેના આધારે LCBએ ટ્રેપ ગોઠવી હતી. તા. 16 એપ્રિલ 2026ના રોજ બપોરે આશરે 3:50 વાગ્યે અક્ષર ચોક ખાતે રજવાડી ટી-સ્ટોલ સામે આરોપી સાજીદઅલી સૈયદે ફરીયાદી પાસેથી રૂ.2 લાખની લાંચ સ્વીકારી હતી. તે સમયે એ.સી.બી.ની ટીમે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો અને લાંચની સંપૂર્ણ રકમ કબજે કરી હતી. પ્રાથમિક તપાસ મુજબ આરોપી પોલીસ ઇન્સ્પેક્ટર વી. એ. ચારણના કહેવા મુજબ લાંચની માંગણી કરી હતી અને વારંવાર ફોન કરીને રકમ આપવા દબાણ કરતો હતો. હાલ પોલીસ ઇન્સ્પેક્ટર સ્થળ પર હાજર મળ્યા નથી અને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરીઆ સમગ્ર ટ્રેપ કામગીરી એ.એન. પ્રજાપતિ, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર, વડોદરા ગ્રામ્ય એ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી પર મદદનીશ નિયામક બી.એસ. પટેલ તથા નાયબ નિયામક બળદેવ દેસાઈ દ્વારા સુપરવિઝન રાખવામાં આવ્યું હતું.એ.સી.બી. દ્વારા બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. અમરેલી જિલ્લાની લાઠી તાલુકાની ચાવંડ બેઠક હાલમાં વિવાદનું કેન્દ્ર બની છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ભાજપના ઉમેદવાર અને લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પરિવારજનો પર ગંભીર આક્ષેપો કરવામાં આવતા રાજકારણ તેજ બન્યું છે. શું છે સમગ્ર વિવાદ?ચાવંડ બેઠક પરથી ભાજપ તરફથી જિલ્લા ભાજપ અગ્રણી જીતુ ડેરના પુત્રવધૂ અને ખ્યાતનામ લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના દીકરી સોનલબેન ડેર ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે કોંગ્રેસ પક્ષે વડીલ ઉમેદવાર શાંતુબેન ડેરને મેદાનમાં ઉતાર્યા છે. આક્ષેપ મુજબ, ચાવંડ પોલીસ ચોકીથી માત્ર 50 મીટરના અંતરે આવેલા વિસ્તારમાં રાત્રિના સમયે કોંગ્રેસના ઉમેદવાર શાંતુબેન ડેરના પોસ્ટરો અજાણ્યા શખ્સો દ્વારા ફાડી નાખવામાં આવ્યા હતા. કોંગ્રેસનો આરોપ છે કે શાંતુબેનના કાર્યાલયનું ઉદ્ઘાટન થાય તે પૂર્વે જ આ તોડફોડ કરવામાં આવી છે. જેની ઠુંમરના સોશિયલ મીડિયા પર પ્રહારપ્રદેશ કોંગ્રેસ મહિલા નેતા જેની ઠુંમર દ્વારા આ મુદ્દે સોશિયલ મીડિયા પર આક્રમક પોસ્ટ કરવામાં આવી છે. તેમણે સીધો આક્ષેપ કર્યો છે કે માયાભાઈ આહીરના જમાઈએ કોંગ્રેસ પક્ષના ઉમેદવારના પોસ્ટર ફાડી નાખ્યા છે. જેની ઠુંમરે જણાવ્યું કે કોંગ્રેસ પક્ષની ઉમેદવારી ખેંચાવવા માટે ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાં સફળતા ન મળતા હવે આ પ્રકારની તોડફોડ કરવામાં આવી રહી છે. માયાભાઈ આપ તો ભારતીય સંસ્કૃતિને આખા વિશ્વમાં ઉજાગર કરો છો, પરંતુ જ્યારે તમારી દીકરી ચૂંટણી લડી રહી હોય ત્યારે આવી ઘટનાઓ તમારી અને તમારા વેવાઈની કથની અને કરણી વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરે છે. કોંગ્રેસની પોલીસમાં લેખિત અરજીઆ ઘટનાને પગલે કોંગ્રેસ પક્ષ દ્વારા પોલીસમાં લેખિત અરજી આપવામાં આવી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ જીતવા માટે સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવી રહ્યું છે અને વિપક્ષના ઉમેદવારોને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. રાજકીય સમીકરણોઅમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં બેઠકો જીતવા માટે બંને પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એક તરફ ભાજપ પોતાના વિકાસના કામો અને જાણીતા ચહેરાઓના સહારે મેદાનમાં છે, તો બીજી તરફ કોંગ્રેસ લોકશાહીના મૂલ્યો અને 'દાદાગીરી'ના મુદ્દા ઉઠાવીને મતદારોને આકર્ષવા પ્રયત્ન કરી રહી છે. ચાવંડ બેઠક પર સર્જાયેલી આ ખેંચતાણ હવે આગામી દિવસોમાં કેવો વળાંક લેશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના સત્તાવાર આંકડા:39,349 ફોર્મમાંથી 11,433 રદ, 694 બેઠકો બિનહરીફ થઈ
રાજ્ય ચૂંટણી આયોગની વેબસાઈટ મુજબ તાજેતરના અપડેટેડ આંકડા સામે આવ્યા છે, જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચિત્ર વધુ સ્પષ્ટ બન્યું છે. રાજ્યભરમાં કુલ 39,349 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જેમાંથી 1,654 ફોર્મ પાછા ખેંચાયા, 11,433 ફોર્મ રદ થયા, જ્યારે 694 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે. હાલમાં કુલ 25,568 ઉમેદવારો હરીફાઈમાં રહ્યા છે, જેના કારણે ચૂંટણીમાં રસપ્રદ ટક્કર સર્જાઈ છે. આ આંકડાઓ મુજબ મોટા પ્રમાણમાં ફોર્મ રદ થતા ચકાસણી પ્રક્રિયા કડક રહી હોવાનું સ્પષ્ટ થાય છે. બીજી તરફ 694 બેઠકો બિનહરીફ થવી રાજકીય રીતે મહત્વપૂર્ણ બાબત બની છે. મહાનગરોથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી હરીફાઈ અને બિનહરીફ જીતનું મિશ્રણ જોવા મળી રહ્યું છે, જે આવનારી મતદાન પ્રક્રિયાને વધુ રસપ્રદ બનાવશે. મહાનગરપાલિકા વાઇઝ વિગત જિલ્લા પંચાયત વાઇઝ વિગત નગરપાલિકા વાઈઝ વિગત તાલુકા પંચાયત વાઈઝ લિસ્ટ
વડોદરા મહાનગર પાલિકાની આગામી સામાન્ય ચૂંટણીને મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના માર્ગદર્શન હેઠળ સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગત 1 એપ્રિલથી 16 એપ્રિલ દરમિયાન પોલીસે આદર્શ આચારસંહિતાના કડક અમલ માટે શહેરભરમાં વિવિધ સ્તરે પગલાં લીધા છે. શસ્ત્રો જમા કરાવવાની કામગીરી ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેરમાં લાયસન્સ ધરાવતા 2364 હથિયાર પરવાનેદારોમાંથી 1824 હથિયારો પોલીસ મથકે જમા કરાવી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત બેંક સિક્યુરિટી અને સ્પોર્ટ્સ એકેડેમી જેવા 506 ધારકોને મુક્તિ આપવામાં આવી છે.પ્રોહિબિશન અને બુટલેગરો પર ત્રાટકેલી પોલીસ દારૂબંધીના કડક અમલ માટે પોલીસે હિસ્ટ્રીશીટર અને બુટલેગરો પર કડક કાર્યવાહી કરી છે: પ્રોહિબિશન 585 કેસ નોંધવામાં આવ્યા છે.જેમાં 1617 લિટર દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. 32.26 લાખ રૂપિયાની કિંમતની વિદેશી દારૂની 6308 જપ્ત કરી છે. પોલીસે કુલ 59.87 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અટકાયતી પગલાં અને વોરંટ બજવણી ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વો ચૂંટણીમાં ખલેલ ન પહોંચાડે તે માટે 2654 જેટલી વ્યક્તિઓ સામે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા અને પાસા હેઠળ પગલાં લેવાયા છે:આ ઉપરાંત, લાંબા સમયથી નાસતા-ફરતા આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરતા કુલ 1139 બિન-જામીનપાત્ર વોરંટ (NBW) બજાવવામાં આવ્યા છે, જે કુલ વોરંટના 87% છે. વાહન ચેકિંગ અને અન્ય વિગતો વડોદરા શહેરના 11 ચેક-પોસ્ટ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 10,170 વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું છે, જેમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના 71 કેસ નોંધાયા છે. 228 વાહનો ડિટોઈન કરાયા છે. પોલીસ કમિશનરની સૂચના મુજબ, ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી આ કડક ઝુંબેશ ચાલુ રહેશે, જેથી નાગરિકો કોઈપણ ભય વગર મતદાન કરી શકે.
મહેસાણા જિલ્લાના મીઠાથી જોટાણા જવાના માર્ગ પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. ખારા અને હરસિદ્ધ વાડી વચ્ચે એક બાઈક અને દૂધના વાહન વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બે આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર બાદ બાઈકમાં આગ લાગી હતી અને તે સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું. બે યુવાનોના મોતથી પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યુંઅકસ્માતની આ ઘટનામાં બાઈક સવાર વિશાલ કુમાર ચૌધરી (ઉંમર: 30 વર્ષ, રહે. ખારા) અને કિશન બાબુભાઈ રાવળ (ઉંમર: 32 વર્ષ, રહે. જોટાણા)ને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બે યુવાનોના અકાળે અવસાનથી ખારા અને જોટાણા પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરાવ્યો હતોઅકસ્માત બાદ બાઈકમાં લાગેલી આગ અને રસ્તા પર થયેલી ભીડને કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. ઘટના બનતાની સાથે જ આસપાસના લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. સાંથલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને અકસ્માત અંગે તપાસ શરૂ કરી હતી. બંને યુવાનોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે જોટાણા સી.એચ.સી. (CHC) ખાતે ખસેડવામાં આવ્યા છે. સાંથલ પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને દૂધના વાહન ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે 120 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, પરંતુ તેમાંથી 31 ઉમેદવારો માટે એક મહત્વનો શિસ્તબદ્ધ નિર્ણય લેવામાં આવ્યો છે. પાર્ટીના 'એક વ્યક્તિ એક પદ'ના સિદ્ધાંતને અનુસરીને, સંગઠનમાં હોદ્દો ધરાવતા આ તમામ 31 નેતાઓએ હવે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડશે. કેમ લેવાયો આ નિર્ણય?ભારતીય જનતા પાર્ટી તેના સંગઠનાત્મક માળખા અને શિસ્ત માટે જાણીતી છે. સુરત મનપાની ચૂંટણીમાં જે 120 ઉમેદવારોને ટિકિટ મળી છે, તેમાંથી 31 એવા છે જેઓ હાલ શહેર સંગઠન કે અન્ય મહત્વના હોદ્દાઓ પર કાર્યરત છે. પક્ષના આદેશ મુજબ ઉમેદવારો સંગઠનની જવાબદારીમાંથી મુક્ત થઈને માત્ર પોતાની બેઠકની જીત અને ચૂંટણી પ્રચાર પર ધ્યાન આપી શકે. આ નેતાઓના રાજીનામાં બાદ સંગઠનમાં ખાલી પડેલી જગ્યાઓ પર નવા અને ઉત્સાહી કાર્યકરોને સ્થાન મળશે, જેનાથી પક્ષનું માળખું વધુ મજબૂત બનશે. કોઈપણ વ્યક્તિ એકસાથે સત્તા અને સંગઠન એમ બે જવાબદારી ન નિભાવી શકે તેવો પક્ષનો નૈતિક અને ટેકનિકલ નિયમ છે. સંગઠન અને સત્તા વચ્ચે સંતુલનભાજપ હાઈકમાન્ડ આ નિર્ણય દ્વારા સ્પષ્ટ સંદેશ આપવા માંગે છે કે ચૂંટણી સંચાલનમાં કોઈ પણ પ્રકારની ઢીલાશ ચલાવી લેવામાં આવશે નહીં. 31 નેતાઓના રાજીનામાં બાદ સુરત શહેર ભાજપના સંગઠનમાં મોટા ફેરફારો થવાની શક્યતા છે. આ રણનીતિ પાછળનો હેતુ જૂથવાદને ડામવાનો અને ચૂંટણી પ્રક્રિયાને વધુ સુદ્રઢ બનાવવાનો છે. કાર્યકરોમાં મિશ્ર પ્રતિસાદપક્ષના આ કડક નિર્ણયને લઈને કાર્યકરોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કેટલાક કાર્યકરો આને પક્ષની ઉત્તમ શિસ્ત ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક આ ફેરફારોથી સંગઠનના કામ પર શું અસર પડશે તે બાબતે ઉત્સુક છે. જોકે, ભાજપ હાઈકમાન્ડ મક્કમ છે અને આ પ્રક્રિયા ટૂંક સમયમાં જ પૂર્ણ કરવામાં આવશે. હવે 120 ઉમેદવારો સાથે ભાજપ સુરત મહાનગરપાલિકામાં ભવ્ય વિજય મેળવવા માટે પૂરી તાકાતથી મેદાનમાં ઉતરવા સજ્જ છે.
રાજકોટની સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્ર- કચ્છના દર્દીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. અત્યાધુનિક સુવિધાઓ અને નિષ્ણાત તબીબોના માર્ગદર્શન હેઠળ અહીં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ઉચ્ચ કક્ષાની સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ બની છે. વર્ષ 2025-26ના આંકડાઓ દર્શાવે છે કે સરકાર દ્વારા જનતાના સ્વાસ્થ્ય પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. સિવિલ સર્જન મોનાલીબેન માકડીયાના નેતૃત્વમાં હોસ્પિટલનું તંત્ર ઘણું સારી રીતે ચાલી રહ્યું છે, જેમાં દરરોજ 3000 થી વધુ દર્દીઓ ઓપીડીમાં સારવાર લેવા આવે છે. હોસ્પિટલના વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, વર્ષ 2025-26માં કાયમી કર્મચારીઓના પગાર પાછળ જ રૂ. 89.09 કરોડ ફાળવવામાં આવ્યા છે. જો આઉટસોર્સિંગ સ્ટાફના પગારનો સમાવેશ કરવામાં આવે તો આ રકમ અંદાજે રૂ. 100 કરોડ સુધી પહોંચે છે. ઉપરાંત, હોસ્પિટલની વહીવટી કામગીરી અને કચેરીના અન્ય ખર્ચાઓ માટે 18.41 કરોડનું આયોજન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના રોજિંદા સંચાલન માટે જરૂરી અન્ય સેવાઓ જેવી કે મટિરિયલ્સ સપ્લાય, દર્દીઓ માટેનો ખોરાક, અને ટેકનિકલ મેન્ટેનન્સ (AMC/CMC) પાછળ કુલ 63.60 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ રીતે છેલ્લા એક વર્ષમાં સિવિલ હોસ્પિટલનાં સંચાલન પાછળ કુલ રૂ. 171 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. અહીં જટિલ ઓપરેશનો પણ સફળતાપૂર્વક થતા હોવાથી દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાનો ખર્ચ કરવાથી રાહત મળી રહી છે. જેને લઈને ભૌતિક અને આંતરમાળખાકીય વિકાસ પાછળ થયેલું આ કરોડોનું રોકાણ છેવાડાના માનવી માટે આરોગ્ય કવચ પૂરું પાડી રહ્યું છે. શૈક્ષણિક સંસ્થાઓ પાસે ડ્રગ્સ વેચનારાઓની માહિતી આપવા પોલીસ કમિશનરની અપીલ રાજકોટ ડી.સી.બી. પોલીસ સ્ટેશને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના અધ્યક્ષસ્થાને નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ હતી. જેમાં તેમણે શિક્ષણના ધામ ગણાતી સંસ્થાઓની આસપાસ નશાકારક પદાર્થોનું વેચાણ કરતા તત્વો સામે લાલ આંખ કરી હતી. પોલીસ કમિશનરે ખાસ અપીલ કરી હતી કે જો કોઈ વ્યક્તિ શાળા કે કોલેજ પાસે નશાનું વેચાણ કરતી જણાય, તો તેની માહિતી વિદ્યાર્થીઓ અથવા શિક્ષકોએ તુરંત પોલીસ વિભાગ સાથે શેર કરવી જોઈએ. યુવા પેઢીને બચાવવા માટે વિવિધ વિભાગોને સોશિયલ મીડિયા દ્વારા વ્યાપક જાગૃતિ અભિયાન ચલાવવા પણ આદેશ અપાયા છે. એન્ટી-ડ્રગ્સ કેમ્પેઇનની સફળતા અંગે માહિતી આપતા ડી.સી.પી. જગદીશ બંગરવાએ જણાવ્યું હતું કે, છેલ્લા એક માસમાં પોલીસે રૂ. 11.60 લાખની કિંમતનો 20 કિલોગ્રામ ગાંજો અને 40.42 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ પકડી પાડ્યું છે. આ ગુનાઓમાં સામેલ 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બીજીતરફ શાળાની 100 મીટરની મર્યાદામાં તમાકુનું વેચાણ કરતા પાન ગલ્લાઓ વિરુદ્ધ કોપટા એક્ટ હેઠળ 230 કેસ નોંધી રૂ. 46,000 નો દંડ વસૂલવામાં આવ્યો છે. આ બેઠકમાં મહાનગરપાલિકા, આરોગ્ય, કસ્ટમ્સ અને ફોરેન્સિક વિભાગના અધિકારી તેમજ વિવિધ યુનિવર્સિટીના નોડલ ઓફિસરોએ હાજર રહી ડ્રગ્સ મુક્ત શહેર બનાવવાના આયોજન પર ચર્ચા કરી હતી. રાજકોટમાં ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ યોજના હેઠળ ઝોન કક્ષાની પી.ટી. ટ્રાયલ્સ યોજાશે ગાંધીનગર સ્થિત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ (ડી.એલ. એસ.એસ.) યોજના અંતર્ગત વર્ષ 2026- 27 માટે પ્રુવન ટેલેન્ટ ધરાવતા ખેલાડીઓની પસંદગી કરવા માટે ઝોન કક્ષાની પી.ટી. ટ્રાયલ્સ (પ્રાથમિક કસોટી)નું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ સમાવિષ્ટ રમતોમાં જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર અને તા.1 જાન્યુઆરી,2011 થી તા.31 ડિસેમ્બર,2015ની વચ્ચે જન્મ થયો હોય તેવા ભાઈઓ અને બહેનો આ કસોટીમાં ભાગ લઈ શકશે. રાજકોટ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છ અને મોરબી જિલ્લાના ખેલાડીઓ માટેની આ ઝોન કક્ષાની ટ્રાયલ્સમાં જુડોની રમત માટે તા.22 એપ્રિલ,2026ના રોજ એસ.એ.જી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વિમલનગર મેઈન રોડ ખાતે, આર્ચરી રમત માટે તા.23 એપ્રિલ , 2026 ના રોજ ડી.એલ.એસ.એસ.જી. કે.ધોળકિયા સ્કૂલ, ન્યુ 150 ફૂટ રીંગ રોડ ખાતે તેમજ બાસ્કેટ બોલની રમત માટે તા.24 એપ્રિલના રોજ એસ.એ.જી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વિમલનગર મેઈન રોડ, રાજકોટ ખાતે સવારે 7 કલાકે રિપોર્ટિંગ કરવાનું રહેશે.
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવી એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ ટીમ પર ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. ગત રાત્રે બટકવાડા ગામના રજાત ફળીયામાં બનેલી આ ઘટનામાં પોલીસકર્મીઓને ગંભીર ઈજાઓ પહોંચતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે શંકાસ્પદ બાઈકનો પીછો કર્યોપ્રાપ્ત માહિતી અનુસાર, સંતરામપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ બટકવાડાથી ફતેપુરા ત્રણ રસ્તા પાસે પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન એક બાઈક પર 2 શંકાસ્પદ શખ્સો સામાન સાથે પસાર થતા હતા. પોલીસે તેમને અટકાવવા ઈશારો કર્યો હતો, પરંતુ બાઈક ચાલકોએ વાહન થોભવવાને બદલે ભગાડી મૂક્યું હતું. પોલીસે આ શંકાસ્પદ શખ્સોનો પીછો કરતા તેઓ રજાત ફળીયામાં નદી કિનારે બાઈક મૂકી ફરાર થઈ ગયા હતા. ટોળા દ્વારા હુમલો અને હત્યાનો પ્રયાસબાઈક સવાર શખ્સોએ ગામમાં જઈ બૂમાબૂમ કરતા 15 થી 20 લોકોનું ટોળું લાકડીઓ અને કુહાડી જેવા હથિયારો સાથે ધસી આવ્યું હતું. પોલીસે પોતાની ઓળખ આપી હોવા છતાં, ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસકર્મીઓને ઘેરી લીધા હતા. હુમલાખોરોએ નિર્દયી રીતે પ્રહાર કરી પોલીસકર્મીઓને જમીન પર પાડી દીધા હતા અને ગળું દબાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલામાં પોલીસકર્મીઓના માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી. પોલીસની કાર્યવાહીઘટનાની જાણ થતા જ વધારાની પોલીસ કુમક સ્થળ પર પહોંચી હતી, જેને જોઈ હુમલાખોરો અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. ઇજાગ્રસ્ત પોલીસકર્મીઓને તાત્કાલિક સંતરામપુર સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ લુણાવાડાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે નામજોગ આરોપીઓ દિલીપ માનસિંગ રજાત, અલ્પેશ માનસિંગ રજાત, લાલસિંગ હકરા રજાત સહિત 20 લોકો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 109(1), 121(1), 189(2), 190, 191(2), 191(3), 352, 351(3) અને જી.પી. એક્ટ 135 હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
રાજકોટ શહેરના કુવાડવા રોડ ઉપર આવેલા ગુરૂદેવ પાર્ક શેરી નં.1માં રહેતા કોમલબેન શહેવંતભાઇ રાઠોડ (ઉ.વ.42)એ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. બનાવની જાણ થતાં બી-ડિવીઝન પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક મહિલાના પિતાએ થોડા દિવસો પહેલા આપઘાત કરી લીધો હતો તેના વિયોગમાં સતત ગુમસુમ રહેતા મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. પત્ની સાથે મનદુઃખ બાદ ઘરેથી નીકળી ઝેર પી લેનારા સફાઇ કામદાર પ્રૌઢનું મોત ઠક્કરબાપા હરિજનવાસમાં રહેતાં અનિલભાઇ વાઘેલાએ ગત તા.09.04.2026ના રોજ રૈયા ચોકડીથી આગળના રોડ પર ઝેરી દવા પી લેતાં ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેમનું મોત થતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનારા અનિલભાઇ વાઘેલા વોર્ડ નં.5માં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતાં હતાં. તેમને સંતાનમાં ત્રણ દિકરા છે. થોડા દિવસ પહેલા તેમને પત્નિ સાથે મનદુઃખ થતાં પત્નિએ પોલીસમાં અરજી કરતાં તે ઘર છોડી નીકળી ગયા હતાં આ પછી તેમણે રૈયા ચોકડી નજીક ઝેર પી લીધું હતું પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. વૃદ્ધાએ બિમારીથી કંટાળી ફીનાઈલ પી લેતા મોત સુધાબેન મોરાણીયાએ ગત 13.04.2026ના બપોરે ફિનાઈલ પી લેતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ હતા જો કે સારવાર કારગત ન નીવડે તે પહેલા મોત નીપજ્યું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી ડિવીઝન પોલીસને કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આપઘાત કરનારા સુધાબેનને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. સુધાબેનને ડાયાબીટીશ, બ્લડપ્રેશર, થાઈરોઈડ તેમજ કિડનીની બિમારીની અને માનસિક તકલીફની સારવાર ચાલુ હતી આમ છતાં ફરક પડતો ન હોવાથી કંટાળી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. કારખાનેદાર યુવાનનો ઝેરી દવા પી આપઘાત ધાર્મિક મહેશભાઈ મકવાણા (ઉ.વ.25) નામના યુવકે ગઈકાલે બપોરના સમયે નહેરુનગર આહીર ચોક પાસે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ યુવકની તબિયત લથડતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક ધાર્મિક પેનલ અને ઇલેક્ટ્રિક બોર્ડ બનાવવાનું કારખાનું ધરાવતો હતો. ગઈકાલે જ્યારે તે પોતાના કારખાને હતો ત્યારે અચાનક તેને ઉલટી થવા લાગી હતી. આ સમયે તેણે પોતાની બાજુમાં જ કામ કરતા અન્ય વ્યક્તિને જાણ કરી હતી કે તેણે ઝેરી દવા પી લીધી છે જેથી ધાર્મિકને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ ધાર્મિકનું મોત નીપજ્યું હતું. ધાર્મિકે કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે કારણ સામે ન આવતા પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
અમદાવાદના અસારવા વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાના મતક્ષેત્રમાં આવતા અસારવા વોર્ડમાં ભાજપના બહિષ્કારના પોસ્ટરો ઉતારવા પહોંચેલી મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ટીમનો સ્થાનિક રહીશોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. રહીશોએ આક્ષેપ કર્યો છે કે, તંત્ર સત્તાધારી પક્ષના ઈશારે ખાનગી મિલકતો પરથી બેનરો હટાવી રહી છે. રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટનો સ્થાનિકો દ્વારા વિરોધઅસારવા વિસ્તારની વિવિધ ચાલીઓના રહીશો રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. શિવપ્રસાદની ચાલી, ગાભાજી મંગાજીની ચાલી, અને હીરાલાલ કેશવલાલની ચાલી સહિતની 6 જેટલી સોસાયટીઓએ ભાજપનો બહિષ્કાર કર્યો છે. રહીશોનું કહેવું છે કે ખાનગી બિલ્ડરોને ફાયદો કરાવવા માટે ભાજપના મળતીયાઓ તેમની મિલકતો હડપવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચાલીઓની બહાર ‘કમળનું ફૂલ અમારી ભૂલ’ અને ભાજપના બહિષ્કારના મોટા બેનરો લગાવવામાં આવ્યા છે, જે છેલ્લા એક અઠવાડિયાથી સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. AMCની કામગીરી પર ઉઠ્યા સવાલોજ્યારે AMCના એસ્ટેટ વિભાગની ટીમ આ બેનરો ઉતારવા પહોંચી, ત્યારે રહીશોએ અધિકારીઓને ઘેરી લીધા હતા. રહીશોએ પ્રશ્ન કર્યો કે રોડ પર રાજકીય પક્ષોએ જે ટેન્ટ અને મંડપ બાંધીને દબાણ કર્યું છે તેને કેમ દૂર કરવામાં આવતું નથી? માત્ર ભાજપ વિરોધી બેનરો જ કેમ નિશાન બનાવાય છે? અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ મ્યુનિસિપલ કમિશનરના આદેશથી આ કામગીરી કરી રહ્યા છે. જોકે, સરકારી મિલકત ન હોવા છતાં ખાનગી મિલકત પરથી બેનર હટાવવાની જીદ સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
જૂનાગઢમાં માદક પદાર્થોના કાળા કારોબાર સામે પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી અને કડક કાર્યવાહી કરી છે. શહેરમાં નશાનું ઝેર ફેલાવી યુવાધનને બરબાદીના પંથે ધકેલતા અસામાજિક તત્વો સામે જૂનાગઢ એસ.ઓ.જી. એ લાલ આંખ કરી છે. આ કાર્યવાહી અંતર્ગત ડ્રગ્સના નેટવર્ક સાથે સંકળાયેલા રીઢા ગુનેગાર વાહીદ પંજાને PIT NDPS એક્ટ હેઠળ દબોચી લઈ સુરતની લાજપોર જેલના હવાલે કરી દેવામાં આવ્યો છે. એસ.ઓ.જી. ઈન્ચાર્જ પી.આઈ. કૃણાલ એમ. પટેલ અને તેમની ટીમે ડ્રગ્સ માફિયાઓની કુંડળીઓ તપાસવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન શહેરના ચીતાખાના ચોક વિસ્તારમાં રહેતા વાહીદ હશનભાઈ પંજાની શંકાસ્પદ ગતિવિધિઓ પોલીસના રડારમાં આવી હતી. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી કે 50 વર્ષીય વાહીદ પંજા માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ રાજ્ય કક્ષાએ માદક પદાર્થોની હેરફેરમાં સંડોવાયેલો છે. તેની વિરુદ્ધ અગાઉ નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અમદાવાદમાં વર્ષ 2021માં ગંભીર ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત વર્ષ 2025માં પણ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં તેની સામે ડ્રગ્સની હેરાફેરીના પુરાવા મળ્યા હતા. સતત ગુનાહિત ઈતિહાસ અને જાહેર સ્વાસ્થ્ય માટે જોખમરૂપ એવી આ પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસે કાયદાના સૌથી કડક શસ્ત્ર એવા PIT NDPS એક્ટનો ઉપયોગ કર્યો છે. એસ.ઓ.જી. દ્વારા વાહીદ વિરુદ્ધ તૈયાર કરવામાં આવેલી દરખાસ્તને ઉચ્ચ અધિકારીઓ મારફતે ગાંધીનગર સી.આઈ.ડી. ક્રાઈમ ખાતે મોકલવામાં આવી હતી. રાજ્ય પોલીસ વડા અને સી.આઈ.ડી. ક્રાઈમ દ્વારા આ દરખાસ્તને મંજૂરી અપાતા જ જૂનાગઢ પોલીસે ઓપરેશન પાર પાડી વાહીદની ધરપકડ કરી હતી. આરોપી જે રીતે સમાજના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી આર્થિક પાયમાલી સર્જી રહ્યો હતો, તેને જોતા તેને મધ્યસ્થ જેલ સુરત (લાજપોર) ખાતે ડિટેઈન કરવાનો આદેશ છૂટ્યો હતો. આ સફળ ઓપરેશનમાં એસ.ઓ.જી.ના પી.આઈ. કૃણાલ એમ. પટેલ, પીએસઆઈ ડી.કે. સરવૈયા અને તેમની સમગ્ર ટીમે રાત-દિવસ એક કરીને પુરાવાઓ એકત્ર કર્યા હતા. પોલીસની આ આકરી કાર્યવાહીથી માદક પદાર્થોના કાળા બજાર સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. જૂનાગઢ પોલીસે એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે યુવાધનને નશાના રવાડે ચડાવનાર કોઈપણ વ્યક્તિ કાયદાના પંજામાંથી છૂટી શકશે નહીં. આ કાર્યવાહીને જૂનાગઢની જનતાએ આવકારી છે અને પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
દુનિયાના કોઈ પણ ખૂણે જતા રહો તમને બે વસ્તુ તો મળી જ જશે એક તો ગુજરાતી માણસ અને બીજું છે ચીની માલ. પણ જો એમ કહીએ કે આ ચીની માલ હવે ગાયબ જ થઈ જશે તો? જી હાં! ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે હોર્મુઝમાં તો ડબલ ઘેરાબંધી છે જ પણ અમેરિકાનો પ્લાન છે મલક્કા જલડમરું પણ બંધ કરવાનો. જો આ 2-3 કિલોમીટરની સાંકળી પટ્ટી બંધ થાય તો 90 દિવસમાં ચીનની મોટા ભાગની ફેક્ટરી બંધ થઈ શકે અને ભારતને પણ જોરદાર ફટકો પડી શકે. અમેરિકાએ કેમ આની પ્લાનિંગ કરી તેની તો વાત કરીશું પણ સાથે એ પણ જાણીશું કે ડ્રેગન ધીમેધીમે કેવી રીતે ઈરાનને મદદ કરી રહ્યું છે. આજે વાત કરીએ મહાયુદ્ધના ફાઈનલ રિહર્સલની… નમસ્કાર... ઈઝરાયલ-ઈરાન યુદ્ધની જ્વાળા મિડલ ઈસ્ટના રણને જ નથી દઝાવી રહી પણ હોર્મુઝથી હિંદ મહાસાગર સુધી પણ પહોંચી ગઈ છે. વાત જાણે એમ છે કે 13 એપ્રિલે વોશિંગ્ટનમાં અમેરિકાના સેક્રેટરી ઓફ ડિફેન્સ પીટ હેગસેથ અને ઈન્ડોનેશિયાના રક્ષામંત્રી સેજફ્રી સેજમસુદ્દીન વચ્ચે MDCP નામની એક ડિલ થઈ. આ ડિલની 3 મોટી વાતો વિશે વાત કરીએ તો હવે... બીટવીન ધ લાઈન અમેરિકા ઈન્ડોનેશિયાને પોતાના જાળામાં એવી રીતે બાંધી રહ્યું છે કે યુદ્ધ ટાણે ઇન્ડોનેશિયાના ટાપુઓનો ઉપયોગ ચીની સપ્લાય લાઇનને બ્લોક કરવા માટે થઈ શકે. આ કેવી રીતે થશે? તો ઈન્ડોનેશિયા અને મલેશિયા વચ્ચે હોર્મુઝ જેવો એક સાંકળો દરિયાઈ રસ્તો આવેલો છે. જેનું નામ છે મલક્કા જલડમરું અથવા ફિલિપ ચેનલ. તેલ, ગેસ, કાર, મોબાઈલ ચિપ્સ જેવી વસ્તુઓ જહાજથી અહીંથી પસાર થાય છે. કયા દેશોનો સામાન પસાર થાય? ભારત , ચીન, થાઇલેન્ડ , ઇન્ડોનેશિયા , મલેશિયા , ફિલિપાઇન્સ , સિંગાપોર , વિયેતનામ , જાપાન , તાઇવાન અને દક્ષિણ કોરિયા હોર્મુઝ બાદ મલક્કા પર અમેરિકાની નજર બગડી ભારત અને ચીન મોટા દેશો છે જેનો માલ પણ આ જળમાર્ગથી જ નીકળે છે. માટે આપણે આ બંને દેશોની પહેલા વાત કરીએ અને સમજીએ કે ભારત અને ચીનને શું નુકસાન થઈ શકે જો અમેરિકા મલક્કા જલડમરું બ્લોક કરી દે. ચીન તેની જરૂરિયાતનું 80 ટકા ક્રુડ ઓઈલ મગાવે છે તે મલક્કા સ્ટ્રેટની સાંકળી પટ્ટીમાંથી જ નીકળે છે. 2008માં અહીંથી 94 હજાર જહાજ નીકળતા હતા તો વિચારો અત્યારે કેટલા જહાજો નીકળતા હશે. બીજી મોટી વાત એ છે કે ચીન જેટલી પણ વસ્તુઓ મગાવે છે કે મોકલાવે છે તેમાંથી 60 ટકા જેટલી વસ્તુઓ અહીંથી જ નીકળે છે. જો અમેરિકા આ સ્ટ્રેટ પર કબજો જમાવી લે તો એક રિપોર્ટ મુજબ 90 દિવસમાં ચીનની મોટા ભાગની ફેક્ટરી બંધ થઈ જાય. 2003માં પહેલીવાર ચીનના પૂર્વ રાષ્ટ્રપતિ હુ જિન્તાઓએ આ સ્ટ્રેટ માટે એક શબ્દ વાપર્યો હતો મલક્કા ડિલેમા. ચીનને બીક છે કે જો બંધ થઈ જાય તો તેમના હાલ પણ આફ્રિકન ગરીબ દેશો જેવા થઈ શકે છે. માટે જ તે અબજો ડોલર ખર્ચી રહ્યું છે જેથી મલક્કા વિસ્તારમાં તેમનો કબજો રહે. અમેરિકાએ આ જ નબળાઈ પર કુહાડો મારીને યુદ્ધ સમયે ડ્રેગનનું ગળું દબાવ્યું છે. કારણ કે અમેરિકાની ઈન્ટેલિજન્સ એજન્સીઓનું કહેવું છે કે યુદ્ધ સમયે ચીન ઈરાનને મદદ કરે છે. મલક્કાને બાયપાસ કરવા ચીનનો છપ્પરફાડ ખર્ચો મલક્કાને બાયપાસ કરવા માટે ડ્રેગન પાકિસ્તાનના ગ્વાદરથી ચીનના શિનજિયાંગ સુધી સીપેક પ્રોજેક્ટમાં ખર્ચો કરી રહ્યું છે. ક્યાઉકફ્યૂથી યુનાન સુધી મ્યાનમાર પાઈપલાઈન પાથરી રહ્યું છે. ક્રા કેનાલના ઓપ્શનમાં ડ્રેગન થાઈલેન્ડમાં લેન્ડ બ્રિજ બનાવી રહ્યું છે. આ બધુ એટલા માટે થઈ રહ્યું છે કે ચીનને મલક્કા સ્ટ્રેટનો ઓપ્શન મળી જાય. જેથી જો મલક્કા બંધ થઈ જાય તો પણ ચીનનો વાળ વાંકો ન થાય. પણ અહીં ચીનને પ્રોબ્લમ એ છે કે મોટા જહાજો અને ટેન્કર્સ માટે તો તેમને મલક્કામાંથી જ નીકળવા સિવાય કોઈ છૂટકો નથી. ચીનના ગળાનો ગાળિયો મલક્કા સામાન્ય રીતે આપણને એવું થાય કે કોઈ દરિયાનો રસ્તો બંધ કરવો હોય તો ઘણા બધા જહાજ જોઈએ. હાં સાચી વાત છે! પણ બ્લોકેજ ખાલી મિસાઈલ્સથી કે વોરશીપથી જ નથી થતાં, ડેટા અને ફાઈનાન્સથી પણ થાય છે. એક્સપર્ટ્સની ભાષામાં તેને સ્પ્રેડશીટ બ્લોકેડ કહેવાય છે. જો અમેરિકા સિંગાપોર જેવી ફાઈનાન્શિયલ હબ્સ, મલક્કાથી થતા ચીની જહાજોનો મેરિટાઈમ ઈન્શ્યોરન્સ પણ કેન્સલ કરાવી દે અથવા જહાજોના પ્રિમિયમમાં વધારો કરી દે તો કોઈ શિપિંગ કંપનીની તાકાત નથી કે મલક્કામાંથી નીકળી શકે. આપણે સૌ જાણીએ છીએ કે યુદ્ધના કારણે જહાજોના ઈન્શ્યોરન્સમાં મોટો વધારો થયો છે. આ ચીનની અર્થવ્યવસ્થાને લકવો લગાવી શકવા માટે કાફી છે. મલક્કા બંધ તો ભારતના ભૂંડા હાલ જ્યારે અમેરિકા અને ઈન્ડોનેશિયા મલક્કા સ્ટ્રેટમાં ઘેરાબંધીના અખતરા કરી રહ્યું છે ત્યારે ભારત માટે પણ આ ખતરો છે. કારણ કે એ મલક્કા સ્ટ્રેટ જ છે જે હિંદ મહાસાગર અને પ્રશાંત મહાસાગરને જોડે છે. જો મલક્કા બંધ થાય તો પૂર્વીય દેશોમાં આપણો 50 ટકા સપ્લાય જહાજોથી જાય છે તેને પોલિયો થઈ જાય. જહાજોના ભાડાં વધે તો તે ખાલી ચીન માટે જ લાગુ નથી પડતા ભારતને પણ અસર કરે. આપણે પણ જહાજ ત્યાંથી કાઢવા માટે વધુ ટોલ-ઈન્શ્યોરન્સ ચૂકવવો પડે. આવું થાય તો આપણા દેશમાં લાઈટ, પેટ્રોલ, ડીઝલ, ગેસના બાટલા, કોલસો સહિત જીવન જરૂરી વસ્તુઓનો ભાવ વધી શકે. અને જો એવું થાય તો આપણી જીડીપીને મોટું નુકસાન પહોંચી શકે તેમ છે. ઈવી વાહનોને તો જોરદાર ફટકો પડી શકે. પણ એક ફાયદો પણ છે કારણ કે સિંગાપોરની જગ્યાએ જળમાર્ગ હિંદ મહાસાગરમાં પણ શિફ્ટ થઈ શકે જેના કારણે આપણી ઈન્કમમાં પણ વધારો થઈ શકે. અંદમાન-નિકોબાર સિંગાપોરના દબદબાને ફટકો આપણા અંદમાન અને નિકોબાર ટાપુઓની વાત કરીએ તો તે દરિયામાં આવેલા જમીનના ટૂકડા જ નથી, આપણા વાયુ સેનાના જહાજો રહી શકે તેવા જહાજોને લંગારવાની જગ્યા પણ છે. ગ્રેટ નિકોબાર પર INS બાઝ આપણું સાઉથનું મોટું નેવલ એર સ્ટેશન છે. અહીંથી મલક્કા ખાલી 150-200 કિલોમીટર જ દૂર છે. હાલ આપણે અહીં રનવે લાંબો કરવાનું કામ કરી રહ્યા છીએ જે ટૂંક સમયમાં પૂરું પણ થઈ શકે છે. તે થઈ જાય પછી આપણે આપણા જાસૂસી જહાજો પણ અહીં લંગારી શકીએ છીએ અને એરક્રાફ્ટ રાખી શકાય તેવા લડાકુ જહાજો પણ રાખી શકીએ છીએ. સાવ સાદી ભાષામાં કહીએ તો જો મલક્કામાંથી કોઈ ચીની જહાજની એન્ટ્રી થાય તો અંદમાનમાં બેઠા-બેઠા ભારતને ખબર પડી જશે. આપણું ગ્રેટ નિકોબાર ઈન્ડોનેશિયાના સબાંગથી 177 કિલોમીટર જ દૂર છે. અહીંનું ગલાથિયા બે સિંગાપોર અને કોલંબોના દરિયાઈ ડોમિનન્સને મોટો ફટકો છે. ચીની જાસૂસી જહાજો પકડાઈ જશે ફેબ્રુઆરી 2026માં જ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગ્રેટ નિકોબારના 90,000 કરોડના પ્રોજેક્ટને ફાઈનલ પરમિશન આપી છે, જે ચીન માટે સૌથી મોટો ફાળકો છે કારણ કે હવે ત્યાં મિલિટરી બેઝનું કામ યુદ્ધના ધોરણે ચાલશે. બીજી મહત્વની વાત એ છે કે આપણે ક્વાડ દેશોમાં એટલે કે અમેરિકા-જાપાન-ઓસ્ટ્રેલિયા સાથે દોસ્તીમાં છીએ. આ ઓર્ગેનાઈઝેશન હિંદ મહાસાગરમાં ઈન્ફોર્મેશન ફ્યુઝન સેન્ટરથી રિયલ ટાઈમ ડેટા શેરિંગ કરી રહ્યું છે. અમેરિકાની સેટેલાઈટ અને ભારતની દરિયાઈ રડારના કોમ્બિનેશનથી આપણે ચોરીછૂપીથી હિંદમહાસાગરમાં ઘૂસતા જહાજોને પણ પકડી શકીએ છીએ. મલક્કા બંધ તો ભારતને જોરદાર ફટકો જીઓપોલિટિકલ તણાવની સીધી અસર ભારતના બજાર અને રસોડા સુધી પહોંચી રહી છે. 2026 માં તેલના ભાવો અને ટ્રમ્પની વેપાર નીતિઓએ ભારતીય અર્થતંત્રને નવી દિશામાં વાળ્યું છે. હોર્મુઝના ડબલ બ્લોકેજના કારણે ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 100 ડોલરને પાર છે. તેલના ભાવમાં 10 ડોલરનો પણ વધારો થાય તો ભારતને 20 બિલિયન ડોલરના વધારાના ખર્ચાનો ફટકો પડી શકે છે. જો આવું થાય તો આપણી ફિસ્કલ ડેફિસિટ 4.3 ટકાના લક્ષ્યથી પણ વધી શકે છે. ટ્રાન્સપોર્ટેશન પણ વધી શકે છે. હાલ રૂપિયો પણ ડોલર સામે 90ને પાર ટ્રેડ કરી રહ્યો છે. જો મલક્કા પર માર તો ચીન થશે ઠાર જો અમેરિકા, ઇન્ડોનેશિયા અને ભારત મળીને મલક્કા સ્ટ્રેટને સ્ટ્રેટેજિક રીતે કન્ટ્રોલ કરે, તો ચીન માટે તે વિનાશક સાબિત થશે છે. વર્લ્ડ ફેક્ટરી ચીન સસ્તા તેલ અને મજૂરી પર કામ કરતું મોડલ છે. જો મલક્કા જલડમરું બ્લોકેજથી સપ્લાય 30 દિવસ પણ બંધ પડે તો ચીનની મેન્યુફેક્ચરિંગ લાઈન ઠપ્પ પડી શકે, જો આવું થાય તો ચીનમાં લાખો લોકો બેરોજગાર થઈ જાય. તેલ વગર ચીનની મિલિટરી પણ નકામી બની જાય. ચીની નેવી ભલે દુનિયાની શક્તિશાળી નેવીમાંથી એક હોય પણ જો તેને હિંદ મહાસાગરમાં ટકવું હોય તો લોજિસ્ટિક્સ અને તેલ-ગેસ જોઈએ જ. તો હવે આપણે સમજી ગયા કે મલક્કા સ્ટ્રેટ કેટલી મહત્વની છે. ઈરાનને મદદ કરવા ચીનનું હોંગકોંગમાં નેટવર્ક હવે આપણે વાત કરીએ એ આક્ષેપની જે અમેરિકા ચીન પર લગાવી રહ્યું છે. અમેરિકાનું કહેવું છે કે ઈરાનને ચીન યુદ્ધ લડવામાં અને તેના પહેલા પણ મદદ કરી રહ્યું છે. અમેરિકા ચીનને ઈરાનનું શેડો એલાયન્સ કહે છે. અમેરિકાનો આક્ષેપ છે કે ચીને ખૂબ જ બુદ્ધિ વાપરીને એક પણ હથિયાર કે ગોળા-બારૂદ આપ્યા વગર ઈરાનની મદદ કરી છે. એપ્રિલ 2026નો યુએસ ટ્રેઝરી રિપોર્ટ કહે છે કે ચીને હોંગકોંગમાં એવી કંપનીનું નેટવર્ક ઉભું કર્યું છે જેનું કામ જ ઈરાનના મિસાઈલ અને ડ્રોન પ્રોગ્રામ માટે જરૂરી વસ્તુઓ આપવાનું છે. આ કંપનીઓ પશ્ચિમના દેશોમાંથી ટેક્નોલોજી લે છે અને પછી તેને ગ્રે માર્કેટથી તહેરાન પહોંચાડે છે. ઈરાનને હથિયાર પહોંચાડતી ચીની કંપનીઓ ઈરાન પાસે ચીની મિસાઈલની કાર્બન કોપી અમેરિકાનો આક્ષેપ છે કે ઈરાન હવે ચીનની બેઈદુ સેટેલાઈટ નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યું છે. આનાથી બે મોટા ફાયદા છે. અમેરિકન જીપીએસ પરની ડિપેન્ડેન્સી ઘટાડે છે અને મિસાઈલ ચોક્કસ જગ્યા પર જ અથડાઈ તેની ચોક્કસાઈ વધે છે. ગલ્ફમાં અમેરિકાની નેવી માટે સૌથી મોટો માથાનો દુઃખાવો છે ઈરાનની એન્ટી શિપ ક્રુઝ મિસાઈલ્સ. જેનો પાયો 1990ના દાયકામાં ચીને ઈરાનમાં નાખ્યો હતો. ઈરાને ચીને C-802 મિસાઈલ્સ આપી હતી, જેનું રિવર્સ એન્જિનિયરિંગ એટલે કે સુધારા-વધારા કરીને ઈરાને નૂર મિસાઈલ બનાવી છે. નૂર મિસાઈલની પ્રોપલ્શન સિસ્ટમ, સી સ્કીમિંગ કેપિસિટી અને ગાઈડન્સ ચીની મિસાઈલ્સ જેવું જ છે. એક વસ્તુ આપણે જાણવી જરૂરી છે કે નૂર મિસાઈલને અપગ્રેડ કરીને ઈરાને કાદીર મિસાઈલ વિકસાવી છે. અમેરિકા માટે બીજો ખતરો એ પણ છે કે ઈરાન એકસાથે ડ્રોન્સના જુમખા છોડે છે જેના કારણે અમેરિકાની જહાજની ટેક્નોલોજી જામ કરી શકાય. ડ્રેગનની ઈરાનને મદદ કરવાની માઈન્ડ ગેમ આ બધી પરિસ્થિતિ વચ્ચે અમેરિકાની ઈન્ટેલિજન્સ એજન્સીઓને એક મોટું ઈન્પુટ મળ્યું કે ચીન હવે સીધા હથિયારો તરીકે શોલ્ડર-ફાયર મિસાઈલ્સ એટલે કે મેનપેડ્સ ઈરાનને મોકલી રહ્યું છે. અને એમાં પણ ચીન ડાયરેક્ટલી કોઈ પણ વસ્તુઓ નથી પહોંચાડતું બલ્કે ત્રીજા વચેટિયા દેશ મારફતે પહોંચાડે છે. જેથી ઈન્ટરનેશનલ લેવલે ચીન પોતાની ઈરાનને મદદ કરવાની સંડોવણીમાંથી હાથ ખંખેરી શકે. ટ્રમ્પની ધમકી અને ટેરિફ વૉર અમેરિકન ઈન્ટેલિજન્સ એજન્સીઓના દાવાઓ જે મીડિયા રિપોર્ટ્સમાં સામે આવ્યા છે તેમાં કહેવામાં આવ્યું છે કે આ મિસાઈલ્સ QW-18 અથવા FN-6 મોડલની હોઈ શકે છે. જે નીચે ઉડતા અમેરિકન વિમાનો અને હેલિકોપ્ટર્સ માટે મોતની ઘંટડી સમાન છે. કહેવાય છે કે એપ્રિલના શરૂઆતમાં F-15E સ્ટ્રાઈક ઈગલ અને A-10 વોર્થોગ નામના અમેરિકન વિમાનને તોડી પાડવામાં પણ આ મિસાઈલ જવાબદાર હોઈ શકે છે. આ બધી જ વાતો પછી ડોનાલ્ડ ટ્રમ્પે 11 એપ્રિલે જાહેરમાં કહ્યું હતું કે, જો ચીન ઈરાનને મિસાઈલો આપવાનું ચાલુ રાખશે, તો ચીન માટે મોટી મુશ્કેલીઓ ઉભી થશે. યુદ્ધ લડવા ગોળા-બારુદ નહીં, ટેક્નોલોજી પણ ટ્રમ્પની આ વાત ખાલી ધમકી જ નથી પણ ચીની માલ પર વધારાના ટેરિફ અને આર્થિક પ્રતિબંધોનો સિગ્નલ પણ છે. ચીનના અને ઈઝરાયલના સંબંધોના કારણે અમેરિકા મલક્કા જલડમરું પર ઘેરો નાખવાના પ્લાન કરી રહ્યું છે. જેનાથી ખાલી ચીનને જ નહીં પણ ભારત સહિત એશિયાના મોટા ભાગના દેશોને પણ મોટો ફટકો પડી શકે તેમ છે. શરૂઆતમાં આપણે વાત કરી હતી ને કે માત્ર ગોળા બારૂદથી જ યુદ્ધ નથી લડાતું, ટેક્નોલોજી અને ચિપ્સથી પણ લડી શકાય છે. મલક્કા સ્ટ્રેટ બ્લોક કરવાનું અમેરિકાનું પ્લાનિંગ તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. અને છેલ્લે… નેપાળની નવી યુવા સરકારે થોડા દિવસ પહેલા પાડોશી અને મજબૂત દેશોના 17 ડિપ્લોમેટ્સને બોલાવી સંબંધ સુધારવા પ્રસ્તાવ મૂક્યો હતો. બિટવીન ધ લાઇન એવું છે કે આ સરકાર ભારત કે ચીનમાંથી કોઈ એકને ટેકો આપવાને બદલે, બધા સાથે સંબંધો રાખવા ઈચ્છે છે. આ બધાની વચ્ચે મોદીએ બાલેન શાહને ભારત આવવા આમંત્રણ આપ્યું. નેપાળી PMએ એ સ્વીકાર્યું પણ ખરું. જો કે હવે હવે એવી વાત છે કે બાલેનને દિલ્હી આવવામાં મોડું થશે. તો શું નેપાળ હવે ફ્રેન્ડ નહીં પણ ફ્રી પ્લેયર બનવા માગે છે? સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચ- સમીર પરમાર)
ગાંધીનગર જિલ્લાની ઉવારસદ જિલ્લા પંચાયત બેઠક પરથી રાજનીતિનો એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે ચૂંટણીમાં મતદારોને રિઝવવા માટે દારૂની રેલમછેલ થતી હોવાના આક્ષેપો થતા હોય છે, ત્યારે અહીં ભાજપ અને કોંગ્રેસના બંને પ્રતિસ્પર્ધી મહિલા ઉમેદવારોએ એકમત થઈ ચૂંટણીને વ્યસનમુક્ત રાખવાનો ઐતિહાસિક સંકલ્પ કર્યો છે. રાજકીય હરિફાઈ વચ્ચે સામાજિક એકતાઉવારસદ બેઠક પર ભાજપના ઉમેદવાર લક્ષ્મીબેન ઠાકોર અને કોંગ્રેસના ઉમેદવાર ભાગ્યવતીબેન ઠાકોર વચ્ચે સીધો જંગ છે. સત્તા મેળવવા માટે બંને પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, પરંતુ ગામના યુવાધનને બચાવવા અને ચૂંટણીના પવિત્ર વાતાવરણને જાળવી રાખવા બંને પક્ષોએ રાજકીય મતભેદો બાજુ પર મૂક્યા છે. કુળદેવીના શરણમાં લીધા શપથબંને પક્ષના ઉમેદવારોએ પોતપોતાના કાર્યકરોની હાજરીમાં એક સામૂહિક બેઠક યોજી હતી. આ બેઠકમાં શ્રદ્ધા અને નૈતિકતાનો સમન્વય જોવા મળ્યો હતો. બંને મહિલા ઉમેદવારોએ પોતાના કુળદેવીના શરણમાં જઈને અતૂટ શ્રદ્ધા સાથે સોગંધ ખાધા છે. ચૂંટણી પ્રચાર કે મતદાન દરમિયાન કોઈપણ તબક્કે દેશી કે વિદેશી દારૂનો ઉપયોગ કે વહેંચણી કરવામાં આવશે નહીં. ગામમાં દારૂની બદીને જળમૂળથી દૂર કરવી અને ચૂંટણીને ખરા અર્થમાં લોકશાહીનું પર્વ બનાવવું. ગ્રામજનોમાં ખુશીનો માહોલઉવારસદના આ બંને ઉમેદવારોની પહેલને સમગ્ર ગાંધીનગર જિલ્લામાં બિરદાવવામાં આવી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે હાર-જીત તો સમય નક્કી કરશે, પરંતુ દારૂ જેવી બદીને દૂર રાખવાના આ નિર્ણયથી બંને ઉમેદવારોએ અત્યારથી જ જનતાના દિલ જીતી લીધા છે. ઉમેદવારોનો એકસૂર જીત ગમે તે પક્ષની થાય, પણ અમારો સંકલ્પ ઉવારસદને વ્યસનમુક્ત રાખવાનો છે. આ પહેલ અન્ય બેઠકો માટે પણ એક મિશાલ કાયમ કરી રહી છે, જે દર્શાવે છે કે જો ઈચ્છાશક્તિ હોય તો રાજનીતિમાં પણ નૈતિક મૂલ્યોનું જતન કરી શકાય છે.
ગાંધીનગરમાં ભગવાન પરશુરામના જન્મોત્સવ (અક્ષય તૃતીયા) નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પરિવાર દ્વારા ૧૯ એપ્રિલ, ૨૦૨૬ના રોજ આ કાર્યક્રમ યોજાશે.આ ઉજવણી સેક્ટર-૧૬ સ્થિત સચ્ચિદાનંદજી બ્રહ્મ ભવન ખાતે બપોરે ૩:૦૦ વાગ્યાથી શરૂ થશે. ઉજવણીના ભાગરૂપે શહેરમાં એક વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવશે. આ યાત્રામાં ફૂલોથી સુશોભિત રથમાં ભગવાન પરશુરામની ૧૧ ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરાશે. આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ આશરે ૧૪ કિલોમીટરનો રૂટ આવરી લેશે. તેમાં પરંપરાગત વેશભૂષામાં સજ્જ હજારો ભૂદેવો, મહિલાઓ અને યુવાનો જોડાશે. યાત્રાના સમાપન બાદ ૨૧૦૦ દીવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રિના સમયે ભવ્ય લોકડાયરાનું પણ આયોજન કરાયું છે. જેમાં જાણીતા કલાકારો રાજભા ગઢવી અને મયુરભાઈ દવે પોતાની કલા રજૂ કરશે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં આશરે ૧૫,૦૦૦થી વધુ ભૂદેવ પરિવારો જોડાવાની અપેક્ષા છે. બ્રહ્મ સમાજના વિવિધ સંગઠનો એકરૂપ બની આ ઉજવણીમાં ભાગ લેશે. આયોજકોના મતે, આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં એકતા વધારવાનો અને યુવા પેઢીને સાંસ્કૃતિક વારસા સાથે જોડવાનો છે.
સંકલ્પ વિદ્યાલયમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો:વિદ્યાર્થીઓને લોકશાહી અને મતદાનનું મહત્વ સમજાવ્યું
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મતદાન જાગૃતિ અભિયાન વેગવંતું બન્યું છે. આ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી જી.એચ. સોલંકીના માર્ગદર્શન હેઠળ સંકલ્પ વિદ્યાલય ખાતે વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને લોકશાહી પ્રક્રિયા અને મતદાનના મહત્વ વિશે જાગૃત કરવાનો હતો. આ અભિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં લોકશાહીના પર્વને સફળતાપૂર્વક ઉજવવા માટેની તૈયારીઓનો એક ભાગ છે. કાર્યક્રમ અંતર્ગત, સંકલ્પ વિદ્યાલયમાં 'મતદાન જાગૃતિ' વિષય પર એક વિશેષ નિબંધ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં શાળાના અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને 'મતદાનનું મહત્વ' વિષય પર પોતાના મૌલિક વિચારો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓએ તેમના લેખન દ્વારા લોકશાહીની મજબૂતી માટે દરેક નાગરિકનો મત કેટલો કિંમતી છે તે સંદેશ આપ્યો હતો. વધુમાં, વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયા અને લોકશાહીના મૂલ્યોથી માહિતગાર કરવા માટે 'ચુનાવ પાઠશાલા'નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પાઠશાલામાં વિદ્યાર્થીઓને લોકશાહીના પર્વ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. શાળામાં એક નમૂનાનું મતદાન મથક તૈયાર કરીને વિદ્યાર્થીઓને મતદાન કેવી રીતે થાય છે અને લોકશાહીમાં તેની ભૂમિકા શું છે તેની પ્રાયોગિક અને વિસ્તૃત સમજ પૂરી પાડવામાં આવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં RTO બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ કૌભાંડનો પર્દાફાશ થયો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ આ મામલે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જે 300થી વધુ લોકોને નકલી લાયસન્સ બનાવી આપતો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, કલ્યાણપુરના કિશન નટવરલાલ ઉર્ફે નટુભાઈ સોમૈયા નામના વ્યક્તિ લોકોને ખોટા વાયદા કરીને ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી આપવાનું કહેતો હતો. તે ગ્રામ્ય વિસ્તારના અણસમજુ લોકોને પોતાની જાળમાં ફસાવી તેમની પાસેથી આધાર કાર્ડ, ફોટા, સહીના નમૂનાઓ અને રોકડ રકમ લેતો હતો. આરોપી પોતાના મોબાઈલ ફોનમાં જ નકલી લાયસન્સ તૈયાર કરતો હતો. ત્યારબાદ તેની પ્રિન્ટ કાઢી, લેમિનેશન કરીને તે ઓરિજનલ જેવા દેખાતા લાયસન્સ ગ્રાહકોને આપતો હતો.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ આશરે 300થી 400 જેટલા લોકોને આ રીતે લર્નિંગ તેમજ પાકા ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી આપ્યા હતા. એલ.સી.બી.ની ટીમે ગુપ્ત માહિતીના આધારે કલ્યાણપુર વિસ્તારમાં દરોડો પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 12 નકલી ડ્રાઇવિંગ લાયસન્સ, ₹5200 રોકડ, એક મોબાઈલ ફોન અને એક મોપેડ સહિત કુલ ₹35,200 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આ કૌભાંડ અંગે વધુ તપાસ SOG ટીમ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના માખાવડ ગામે ફાર્મ હાઉસમાં સ્ટેટ મોનીટરીંગ સેલે (SMC) કરેલી રેડમાં વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયા બાદ પોલીસ વિભાગમાં મોટો આંચકો આવ્યો છે. સ્થાનિક પોલીસની બેદરકારીને પગલે રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે કડક કાર્યવાહી કરતા લોધીકાના મહિલા પીઆઈ સહિત છ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. ફાર્મ હાઉસમાં દરોડો અને મુદ્દામાલની જપ્તીચૂંટણીના માહોલ વચ્ચે દારૂની હેરાફેરી અટકાવવા સક્રિય થયેલી SMCની ટીમે લોધીકાના માખાવડ ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસ પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ફાર્મ હાઉસમાંથી ₹11.26 લાખની કિંમતની 739 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી રાજકોટના ઉમિયા ચોક વિસ્તારમાં રહેતા અજય રમેશભાઈ ભરડાની ધરપકડ કરી છે. તેની પાસેથી દારૂ ઉપરાંત એક બાઇક અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બુટલેગર ઉમંગ કામાણીનું નામ ખુલ્યુંપોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો મવડી વિસ્તારના નામચીન બુટલેગર ઉમંગ કામાણીએ રાજસ્થાનથી મંગાવ્યો હતો. પોલીસે હવે ઉમંગ કામાણી અને દારૂ મોકલનાર રાજસ્થાની શખ્સો સામે ગુનો નોંધી તેમની શોધખોળ તેજ કરી છે. રેન્જ IGએ 6 પોલીસકર્મીઓ સસ્પેન્ડ કર્યાસ્થાનિક પોલીસની નાક નીચે આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઉતરતા અને SMC દ્વારા કાર્યવાહી થતા લોધીકા પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં આવી હતી. રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે આ મામલે કડક વલણ અપનાવ્યું છે. લોધીકાના મહિલા પી.આઇ. એસ.એમ. પરમાર, એએસઆઇ ગોપાલભાઇ, હેડ કોન્સ્ટેબલ માવજીભાઇ, પિયુષભાઇ, તેમજ કોન્સ્ટેબલ પ્રકાશભાઇ અને ખોડાભાઇને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોધીકા પીઆઈ સસ્પેન્ડ થતા તેમનો ચાર્જ પીએસઆઈ આઈ.એન. સરવૈયાને સોંપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પૂર્વે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી આ મોટી શિક્ષાત્મક કાર્યવાહીથી ગ્રામ્ય પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને કરવામાં આવેલા આ દરોડાએ જિલ્લામાં દારૂબંધીના અમલ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલે શૈક્ષણિક વર્ષ 2025-26ના ધોરણ 10 CBSE બોર્ડના પરિણામમાં 100 ટકા સફળતા મેળવી છે. શાળાના તમામ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. આ પરિણામમાં યાજ્ઞિ મહેતા 97.6 ટકા ગુણ સાથે શાળામાં પ્રથમ ક્રમે રહી છે. તેની સાથે જ કલાપ ભગતે 97.4 ટકા અને દર્શ મિસ્ત્રીએ 97.2 ટકાગુણ મેળવ્યા છે. શાળાના આંકડાકીય પરિણામ મુજબ, કુલ 322 વિદ્યાર્થીઓમાંથી 90 વિદ્યાર્થીઓએ 90 ટકા કે તેથી વધુ ગુણ મેળવીને પોતાની પ્રતિભા સાબિત કરી છે. આ ઉપરાંત, 223 વિદ્યાર્થીઓ 80 ટકા કે તેથી વધુ ગુણ મેળવવામાં સફળ રહ્યા છે અને કુલ 253 વિદ્યાર્થીઓએ ડિસ્ટિંક્શન સાથે પરીક્ષા પાસ કરી છે. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર અને શિક્ષકોએ સંતોષ વ્યક્ત કર્યો છે. વાલીઓએ પણ શાળાના શૈક્ષણિક વાતાવરણ અને શિક્ષકોના યોગ્ય માર્ગદર્શનને આ સફળતાનો શ્રેય આપ્યો છે.
સુરેન્દ્રનગરના કોઠારિયા ધામ, વજા ભગતની જગ્યા ખાતે ચાલી રહેલી જીગ્નેશ દાદાની કથામાં ભાવિની બા ઝાલા ચિત્રકલા ગુરુ પાસે તાલીમ લીધેલી 11 બહેનોની ટીમે અનોખી સેવા આપી છે. આ બહેનોએ કથા સ્થળ પર લગભગ 3000 સ્ક્વેર ફૂટની ભવ્ય રંગોળી બનાવીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ રંગોળી બનાવવા માટે આશરે 400 કિલો રંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેને પૂર્ણ કરવામાં લગભગ પાંચ કલાકનો સમય લાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ બહેનોએ ઉનાળાની આકરી ગરમી અને તડકા છતાં પણ પોતાની સેવા ચાલુ રાખી હતી. તેમની આ મહેનત અને કલાકારી કથા સ્થળ પર એક અનોખું આકર્ષણ બની રહી હતી. આ રંગોળી કથામાં ઉપસ્થિત ભાવિકો માટે વિશેષ દર્શનીય બની હતી. આ સેવા યજ્ઞના ભાગરૂપે, ચિત્રકાર બહેનોએ જીગ્નેશ દાદાને યાદગીરી રૂપે રાધાકૃષ્ણનું સ્વહસ્તલિખિત પેઇન્ટિંગ પણ ભેટ આપ્યું હતું.
છઠીયારડા શાળામાં તિથિ ભોજનનું આયોજન:સ્વ. ભગવતીબેન પટેલના સ્મરણાર્થે વિદ્યાર્થીઓને ભોજન કરાવ્યું
મહેસાણા તાલુકાના છઠીયારડા ગામ સ્થિત પ્રાથમિક કુમાર શાળામાં સ્વર્ગસ્થ ભગવતીબેન પરસોતમભાઈ પટેલના સ્મરણાર્થે તિથિ ભોજનનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ અને આંગણવાડીના બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. આ તિથિ ભોજનના દાતા તરીકે આશાબેન અને આશિષભાઈ પરસોત્તમભાઈ પટેલ તથા તેમના પરિવારે (પાંચોટ વાળા – હાલ શૈલજા શરણમ્, મહેસાણા) આ સેવાકીય આયોજન કર્યું હતું. ગામ અને શાળા પરિવારે તેમના આ સેવાભાવી કાર્યની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે સ્વ. ભગવતીબેન પરસોતમભાઈ પટેલના દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. શાળા પરિવાર દ્વારા દાતાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ધારપુર મેડિકલ કોલેજ, પાટણ ખાતે ભારતરત્ન ડૉ. બી.આર. આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં અંદાજે 70 થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જે જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગી બનશે. ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના માનવતાવાદી વિચારોને સાર્થક કરવા અને સમાજ સેવાના ઉમદા હેતુ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો ના તેમના મંત્રને અનુસરીને આ શિબિરનું આયોજન કરાયું હતું. શિબિરની શરૂઆતમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને કેક કાપી તેમના સામાજિક યોગદાનને યાદ કરાયું હતું. આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. અલ્કેશ સોહેલ, સામાજિક અગ્રણી નરેશભાઈ પરમાર અને કોલેજના તબીબો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સવારથી જ મેડિકલ કોલેજ સંકુલમાં ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ડૉ. અલ્કેશ સોહેલ સહિત અનેક રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. આયોજકોએ જણાવ્યું હતું કે, રક્તદાન એ જ સાચી અંજલિ છે, જેના દ્વારા અનેક લોકોના જીવન બચાવી શકાય છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બ્લડ બેંકની ટીમ, સ્થાનિક સામાજિક કાર્યકરો, હોદ્દેદારો અને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. તેઓએ રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા હીરાભાનગર ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટમા બોલ ધીમે નાખવાની કોમેન્ટ કરતા હારી રહેલી ટીમ ઉશ્કેરાઈ ગઈ હતી. ત્યારબાદ ગ્રાઉન્ડની લાઈટો બંધ કરી અંધારામાં સામેની ટીમના કેપ્ટન તેના બનેવી અને ભાણેજ પર લોખંડના પાઈપથી હુમલો કરવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કાલ ભેરવ ટીમે વિરોધી ટીમને માત્ર 35 રનમાં ઓલઆઉટ કરીશહેરના ચાંપાનેર દરવાજા વિસ્તાર પાસે રહેતા ચિરાગ ઉર્ફે ધર્મેશભાઈ કિશોરભાઈ કહારે નોંધાવેલી ફરિયાદ મુજબ 15 એપ્રિલ, 2026ના રોજ વાઘોડિયા રોડ પર આવેલા હીરાભાનગર ગ્રાઉન્ડ ખાતે કાલ ભેરવ અને દ્વારકાધીશ-11 ટીમ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. ચિરાગ કહાર પોતાની ટીમના કેપ્ટન તરીકે રમવા માટે હાજર હતા. મેચ દરમિયાન કાલ ભેરવ ટીમે વિરોધી ટીમને માત્ર 35 રનમાં ઓલઆઉટ કરી જીત તરફ આગળ વધી રહી હતી. સામેવાળી ટીમના લોકોએ બોલાચાલી થતા ગ્રાઉન્ડની લાઈટ બંધ કરી માર માર્યોઆ દરમિયાન ચિરાગના બનેવી નરેશ ઉર્ફે લાલી દ્વારા કરાયેલી કોમેન્ટને લઈ બંને પક્ષો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જે થોડી જ વારમાં ઉગ્ર બની ગઈ હતી. આ દરમિયાન સામેવાળી ટીમના લોકોએ અચાનક ગ્રાઉન્ડની લાઈટો બંધ કરી દેતાં સમગ્ર વિસ્તારમા અંધારુ છવાઈ ગયુ હતુ. અંધારાનો લાભ લઈ કરસન રબારી, હર્ષદ ભરવાડ તથા રીતુ નામના વ્યક્તિએ લોખંડના પાઈપથી ચિરાગ કહારના માથામાં લોખંડના પાઈપથી હુમલો કર્યો હતો. ચિરાગ કહાને છોડાવવા વચ્ચે પડવા આવેલા નરેશ ઉર્ફે લાલી તથા ચિરાગના ભાણિયા હર્ષ નરેશ કહારને ફટકો મારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાગ્રાઉન્ડ પર ભારે હોબાળો મચી જતા આસપાસના લોકોનું ટોળું ભેગું થઈ ગયુ હતુ. જેમા હુમલાખોરો સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. હુમલામાં ઈજાગ્રસ્ત સાળા બનેવી અને ભાણિયાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ચિરાગ કહાની ફરિયાદના આધારે પોલીસ દ્વારા ગુનો નોંધી હુમલાખોર કરસન રબારી, હર્ષદ ભરવાડ અને રીતુ શર્માને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

27 C