અમદાવાદ શહેરના સાયન્સ સીટી રોડ ઉપર આવેલી સોસાયટીમાં એક યુવક તેમના બહેનના ઘરે જઈ રહ્યા હતાં. ત્યારે સોસાયટીની અંદર જ પૂર ઝડપે એક કાર ચાલકે કાર ચલાવી યુવકને ઉડાવ્યા હતાં. અકસ્માત કરનાર કાર ચાલક 15 વર્ષનો સગીર હોવાનું સામે આવ્યું હતું. અકસ્માત સમયે કારની સ્પીડ એટલી હતી કે કારની અંદરની બંને એરબેગ ખુલી ગઈ હતી. અકસ્માતમાં યુવકને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. આ સમગ્ર મામલે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે. એક શખ્સને પોલો કારે ટક્કર મારી ને ઉડાવ્યોસાયન્સ સીટી રોડ પર આવેલી શિવાલિક હાઈટેક સોસાયટીમાં 28 જાન્યુઆરીના રોજ વિરમભાઈ રબારી તેમના બહેનના ઘરે આવ્યા હતા. વિરમભાઈ રિક્ષામાં આવીને સોસાયટીના ગેટ ઉપર ઉતર્યા હતા. જે બાદ ચાલીને સોસાયટીમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન વિરમભાઇને પાછળથી એક લાલ કલરની પોલો કારે ટક્કર મારી હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે વિરમભાઈ ઉછળીને આગળ પડ્યા હતા. જેમાં તેમને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. સગીર કારચાલકના પિતા હાઈકોર્ટમાં નોકરી કરે છેઅકસ્માત થતા સોસાયટીના આસપાસના રહીશો ભેગા થઈ ગયા હતા. અકસ્માતમાં વિરમભાઇને ઇજાઓ તથા પહેલા સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત કરનાર કાર ચાલક સોસાયટીમાં જ રહેતા અને હાઇકોર્ટમાં નોકરી કરતા એક કર્મચારીનો 15 વર્ષનો સગીર વયનો દીકરો હોવાનું સામે આવ્યું હતું. એટલી સ્પીડ હતી કે એરબેગ પણ ખુલી ગઈવિરમભાઇએ જણાવ્યું હતું કે, સગીરે જ મારા પર પૂર ઝડપે કાર ચઢાવી હતી તે સીસીટીવીમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે.અકસ્માતમાં કારની સ્પીડ પણ એટલી હતી કે એરબેગ ખુલી ગઈ હતી. અકસ્માત કરનાર હાઇકોર્ટના કર્મચારીનો દિકરો છે. 'પિતા હાઇકોર્ટમાં હોવાથી સગીર બેફામ રીતે કાર ચલાવે છે'વિરમભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, મને એવું પણ જાણવા મળ્યું છે કે આ સગીર રોજ કાર લઈને નીકળી જાય છે. પિતા હાઇકોર્ટમાં હોવાથી સગીર બેફામ રીતે કાર ચલાવે છે. પોલીસે મારી ફરિયાદ પણ નોંધી છે. 'અકસ્માત કરનાર કોણ છે તેની તપાસ ચાલું'એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એ દેસાઈએ જણાવ્યું હતું કે, અકસ્માત અંગે ફરિયાદી ફરિયાદ કરવા આવ્યા ત્યારે તાત્કાલિક ફરિયાદ લઈ લેવામાં આવી છે. અકસ્માત કરનાર કોણ છે તેની તપાસ કરવામાં આવશે. જો અકસ્માત કરનાર સગીર હશે તો તેનું નિવેદન લઈને કારના માલિક સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે.
હિંમતનગરના ગાંભોઈ પોલીસે સાયબર ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓએ ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવીને એક મહિલાના ફોટા એડિટ કરી વાઈરલ કરવાની ધમકી આપી હતી. પોલીસે વાવડી ગામના આ બંને યુવકોને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગાંભોઈ પોલીસ સ્ટેશનના PI એસ.જે. ગોસ્વામીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, પાંચ દિવસ પહેલા અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો. આરોપીઓએ એક ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી ઇન્સ્ટાગ્રામ એપ પર મૂકી હતી. ત્યારબાદ ફરિયાદીના મોબાઈલ પર વોટ્સએપ દ્વારા ફરિયાદીના ભાઈ અને પત્નીના ફોટા એડિટ કરીને બીભત્સ લખાણ સાથે સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી આપી હતી. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ હાથ ધરી હતી. આ તપાસના અંતે વાવડી ગામના બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓના નામ સુનીલસિંહ બાદરસિંહ મકવાણા અને નરેન્દ્રસિંહ ભરતસિંહ મકવાણા છે, જે બંને હિંમતનગર તાલુકાના વાવડી ગામના રહેવાસી છે.
સંસદમાં ઘમસાણ, રાહુલ ગાંધીએ 'ગદ્દાર મિત્ર' કહેતા કેન્દ્રીય મંત્રીએ જવાબમાં 'દેશના દુશ્મન' ગણાવ્યા
Rahul Gandhi Ravneet Singh Bittu : સંસદમાં આજે એક અલગ જ નજારો જોવા મળ્યો હતો. જ્યારે સંસદના ગેટ પર કોંગ્રેસના સાંસદો હાથમાં તખ્તીઓ લઈને પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારે રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટૂ સામસામે આવી ગયા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ કોંગ્રેસના સાંસદોના વખાણ કર્યા હતા અને કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટૂને 'ગદ્દાર દોસ્ત' ગણાવ્યા હતા. તેના જવાબમાં બિટ્ટૂએ પણ રાહુલ ગાંધીને 'દેશના દુશ્મન' કહ્યા હતા.
સુરત શહેરના પુણા વિસ્તારમાં કાંગારું સર્કલ ખાતે આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રકે આગળ જઈ રહેલી ઈકો કારને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે ઈકો કાર રોડ પર જ ત્રણ પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં ઇકો કારનો ડ્રાઇવર ઇજાગ્રસ્ત થયો હતો. ઈકો કાર ત્રણ વાર પલટી મારી ફંગોળાઈમળતી માહિતી મુજબ, આજે વહેલી સવારે જ્યારે રસ્તાઓ પર ટ્રાફિક ઓછો હતો, ત્યારે રાજસ્થાન પાસિંગની ટ્રક (RJ-33-GA-3338) ના ચાલકે પોતાના વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો અને આગળ જઈ રહેલી ઈકો કાર (GJ-19-BR-7179) નેજોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતાની સાથે જ ઈકો કાર ત્રણ પલટી મારી ફંગોળાઈ હતી અને રસ્તા પર પલટી ગઈ હતી. ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયોઆ અકસ્માતને પગલે કરણ ડ્રાઈવરને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક પોતાનું વાહન મૂકીને અથવા ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરી હતી. ફરાર ટ્રક ડ્રાઈવરને પકડવા માટે પોલીસના ચક્રો ગતિમાનપુણા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને વાહનો કબજે કરી અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. ફરાર ટ્રક ડ્રાઈવરને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. વહેલી સવારે બનેલી આ ઘટનાને કારણે વિસ્તારમાં થોડો સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હાલ પોલીસ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ કરી રહી છે.
અમદાવાદ એરપોર્ટ પર 15 ફ્લાઇટ ડીલે:ઠંડી અને ધુમ્મસને કારણે અનેક ફ્લાઇટને અસર, મુસાફરો પરેશાન
અમદાવાદ એરપોર્ટ પરથી આવતી–જતી ફ્લાઈટોના સંચાલન પર આજે પણ અસર જોવા મળી. દેશભરમાં પડી રહેલી કડક ઠંડી અને ધુમ્મસના કારણે અમદાવાદ એરપોર્ટ પર કુલ 15 જેટલી ફ્લાઈટો કલાકો સુધી મોડે ચાલતી રહી, જેના કારણે મુસાફરો ભારે પરેશાન બન્યા હતા. ધુમ્મસના કારણે પૂરતી વિઝિબિલિટી ઘટીઑધુમ્મસના કારણે પૂરતી વિઝિબિલિટી ન મળતાં પાયલોટોને ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને વહેલી સવારે અને મોડી સાંજે ફ્લાઈટ ઓપરેશનમાં ડીલે થઈ રહ્યો હોવાનું એરલાઈન સૂત્રો જણાવી રહ્યા છે. ફ્લાઈટ રદ અને ડીલે ના કારણે મુસાફરો એરપોર્ટ પર લાંબા સમય સુધી અટવાઈ રહ્યા હતા અને અનેક એરલાઇન્સના ડીલે થવાને કારણે મુસાફરો પણ રોષે ભરાયા હતા. કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી શકે છેઈન્ડિગો એરલાઇને એડવાઇઝરી જાહેર કરી છે. ઈન્ડિગોએ જણાવ્યું છે કે આજે સવારે દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે વિસિબીલીટી ભારે ઘટાડો થયો છે, જેના કારણે ફ્લાઇટ કામગીરી પર અસર પડી છે. સલામતીને પ્રાથમિકતા આપતા અને એરપોર્ટ પર મુસાફરોને લાંબી રાહ જોવી ન પડે તે માટે દિવસ દરમિયાન કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી શકે છે તેમજ કેટલીક ફ્લાઇટ્સને પ્રસ્થાનમાં વધુ સમય લાગી શકે છે. સાથે જ, ધુમ્મસના કારણે રોડ ટ્રાફિક પણ ધીમો પડી શકે હોવાથી મુસાફરોને એરપોર્ટ જવા માટે વધારાનો સમય રાખવાની વિનંતી કરવામાં આવી છે. ફલાઈટમાં જતા હોવ તો આ ચેક કરી લેજોબીજી તરફ, એર ઇન્ડિયાએ પણ એડવાઇઝરી જાહેર કરી છે. એર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર ગાઢ ધુમ્મસના કારણે દિલ્હી અને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં નબળી વિઝિબિલિટી જોવા મળી રહી છે, જેના કારણે ફ્લાઇટ કામગીરી અસરગ્રસ્ત બની છે. મુસાફરોને એરપોર્ટ જતાં પહેલા તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવાની સલાહ આપવામાં આવી છે. ઈન્ડિગો અને એર ઇન્ડિયા ઉપરાંત અન્ય અનેક એરલાઇન્સે પણ આવી જ પ્રકારની એડવાઇઝરી જાહેર કરી છે. અમદાવાદ એરપોર્ટ પર આવતી ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પરથી જતી ફ્લાઇટ
બોટાદ શહેરમાં આગામી 6 ફેબ્રુઆરી 2026થી 8 ફેબ્રુઆરી 2026 દરમિયાન ત્રણ દિવસ માટે પાણી પુરવઠો બંધ રહેશે. નાગરિકોને આ સમયગાળા દરમિયાન પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા નાવડા ગામના હેડવર્કસ ખાતે CT ઇન્સ્ટોલેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરી 6 ફેબ્રુઆરી 2026થી 8 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે. આ ઉપરાંત, બોટાદના ઢાંકી ગામ ખાતે આવેલા સંપની સાફ-સફાઈની કામગીરી પણ આ જ સમયગાળા દરમિયાન કરવામાં આવશે. ઉપરોક્ત બંને મહત્વપૂર્ણ કામગીરીના કારણે બોટાદ શહેરમાં સતત બે દિવસ સુધી પાણી કાપ રહેશે, જેનાથી પાણી વિતરણ વ્યવસ્થા પ્રભાવિત થશે. બોટાદ નગરપાલિકાએ શહેરના તમામ નાગરિકોને આ સમયગાળા દરમિયાન પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અને તેનો વ્યય ન કરવા અનુરોધ કર્યો છે. નગરપાલિકાએ નાગરિકોને અગાઉથી જ જરૂરી પાણીનો સંગ્રહ કરી લેવા અને આ કામગીરીમાં સહકાર આપવા પણ અપીલ કરી છે.
સુરતમાં ત્રણ વર્ષ પહેલાં થયેલી એક હત્યાનું રહસ્ય ઘૂંટાતું જોવા મળી રહ્યું છે, જેમાં પકડાયેલા સગીરોએ પોલીસ સામે એવી કેફિયત રજૂ કરી છે કે તેઓએ લાશને બહાર કાઢી તેનું માથું કાપી કૂવામાં ફેંકી દીધું હતું. આ સનસનાટીભર્યા ખુલાસા બાદ, જમીનમાં દટાયેલા મૃતદેહના અવશેષો અને અન્ય પુરાવાઓ શોધી કાઢવા માટે પોલીસે અત્યાધુનિક GPR (ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર) ટેક્નોલોજીનો સહારો લીધો છે. વર્ષો જૂની આ ઘટનામાં સગીરોના રટણને પગલે પોલીસ હવે ટેકનિકલ ટીમોની મદદથી ગુમ થયેલા અવશેષો સુધી પહોંચવા અને આ હત્યાકાંડના મૂળ સુધી જવા માટે કવાયત કરી રહી છે. ત્રણ સગીરોએ ભેગા થઈને એક સગીરની હત્યા કરી'તીસુરતના પુણા વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલા પુણામાં સગીરોએ ભેગા મળીને એક સગીરની હત્યા કરીને તેની લાશ ફેંકી દેવાના ચકચારી કેસમાં આ સગીરો દ્વારા હત્યા કરાયાના 3 દિવસ બાદ લાશને બહાર કાઢીને માથું કાપીને કૂવામાં ફેંકી દીધાનું જણાવતા પોલીસ પણ ચકરાવે ચઢી છે. પોલીસ હવે GPR ટેક્નોલોજીથી જમીનની અંદર હરપિંજર કે માનવ અવશેષ છે કે નહીં તે તપાસ કરી રહી છે. આ કેસની વિગત મુજબ, ત્રણ વર્ષ પહેલા ત્રણ સગીરોએ ભેગા થઈને એક સગીરની હત્યા કરી નાંખી હતી, અને લાશને પુણા વિસ્તારની ખુલ્લી જગ્યામાં દફનાવી દીધી હતી. આ ઘટનાના ત્રણ વર્ષ બાદ ફરીવાર ભેગા થયેલા સગીરો વચ્ચે માથાકૂટ થતા એક સગીર આરોપીએ મૃતકના ભાઈને જઈને સમગ્ર હકીકત કહી હતી. આ અંગે મૂળ યુપીના વતની તેમજ વરાછામાં રહેતા અનિલ નામના યુવકે પોતાનો ભાઈ ગુમ થવા અંગે પુણા પોલીસમાં જાણવા જોગ માહિતી આપી હતી. 10 ફૂટ ઊંડાઈ સુધી ખોદકામ, છતાં લાશ મળી નહીંઆ માહિતીના આધારે પોલીસ દ્વારા પુણા કેનાલ રોડ ઉપર ત્રણથી પાંચ વીઘાની જગ્યામાં ખોદકામ શરૂ કરીને લાશ શોધવાનો પ્રયાસો કરાયા હતા. પાંચથી વધુ જેસીબી દ્વારા 15,000 સ્ક્વેર ફૂટ જગ્યામાં 10 ફૂટ ઊંડાઈ સુધી ખોદીને તપાસ કરવામાં આવી હતી. આ વાતને સાત દિવસનો સમયગાળો વીતી ગયો છતાં પોલીસને કોઈ સફળતા મળી ન હતી. લાશને બહાર કાઢીને માથું કૂવામાં ફેંક્યાનું સગીરોનું રટણપોલીસ તપાસમાં આ ત્રણેયે હત્યાના ત્રણ દિવસ બાદ લાશની ફરીવાર બહાર કાઢી બીજી જગ્યાએ દફનાવવાનો પ્લાન બનાવ્યો હતો. ત્રણ દિવસ બાદ ફરી ખોદકામ કરી લાશ બહાર કાઢી માથું કાપી નજીકમાં આવેલા એક કૂવામાં ફેંકી દેવામાં આવ્યું હતું. આ ત્રણેય સગીરોએ પણ પોલીસ સમક્ષ આ વાત જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જેથી માથું જ્યાં ફેંકવામાં આવ્યું છે ત્યાં છેલ્લા બે દિવસથી શોધખોળ કરી છે. પણ હજુ કંઇ હાથ લાગ્યું નથી. 'બે લોકોએ મળીને વિવેકને મારી નાખ્યો'મૃતકના ભાઈ અનિલે જણાવ્યું હતું કે, વાત એમ છે કે મારા મિત્રને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ આવ્યો હતો કે ભાઈ વિશે કંઈક જણાવવાનું છે. એક સગીર જે મારા ભાઈનો પણ મિત્ર છે, તે બીજા દિવસે સવારે અમને ચાની દુકાન પર મળ્યો હતો. તેણે ત્યાં આવીને જણાવ્યું કે બે લોકોએ મળીને મારા ભાઈને મારી નાખ્યો છે. મને આ વાતની ખબર હતી પણ મેં ડરના કારણે કોઈને કહ્યું નહીં, કારણ કે તે લોકો મને પણ મારી નાખવાની ધમકી આપી રહ્યા હતાં. લાશ શોધવા 5-6 જેસીબીથી ખોદકામપોલીસે પોતાની રીતે કાર્યવાહી શરૂ કરી અને આરોપીઓ બે શખ્સના ઘરે જઈને તેમને પકડ્યા. અત્યારે પૂછપરછ અને તપાસ ચાલુ છે. જે લોકેશન બતાવવામાં આવ્યું હતું ત્યાં 5-6 જેસીબી (JCB) મશીનો વડે ખોદકામ કરવામાં આવ્યું છે, પણ હજુ સુધી કંઈ મળ્યું નથી. લાશને ઠેકાણે કરતી વખતે …એક સગીરે આરોપીએ એવું પણ જણાવ્યું કે જ્યારે તેઓ લાશને ઠેકાણે પાડવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે તે પણ ત્યાં હાજર હતો. આરોપીઓએ સગીરનું માથું કાપીને કૂવામાં ફેંકી દીધું હોવાનું જણાવ્યું છે અને અત્યારે ત્યાં જ તપાસ ચાલી રહી છે. 'મૃતક વિશે કંઈક જાણવા મળ્યું છે, તમે આવો આપણે ત્યાં જઈએ'પ્રકાશ યાદવ (મૃતકના ભાઈનો મિત્ર)એ જણાવ્યું હતું કે, મને 25 તારીખે રાત્રે સગીરનો મેસેજ આવ્યો, તેણે કહ્યું કે મારે મૃતક સગીર વિશે વાત કરવી છે અને તમને મળવું છે. તો મેં તરત જ મૃતકના ભાઈ અનિલને ફોન કર્યો. લગભગ અઢી-ત્રણ વર્ષ પહેલાં જે છોકરો ગુમ થયો હતો, તેના વિશે કંઈ જાણવા મળે તો સ્વાભાવિક છે કે હું તેના ભાઈને જાણ કરું. મેં અનિલને ફોન કરીને કહ્યું કે વિવેક વિશે કંઈક જાણવા મળ્યું છે, તમે આવો આપણે ત્યાં જઈએ. 'બસ હવે એવી આશા છે કે તે મળી જાય'પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે, જ્યારે અમે ત્યાં ગયા, ત્યારે બધી વાત ફરીથી દીપકભાઈને કહી. પછી દીપકભાઈએ પોલીસ સ્ટેશનમાં સંપર્ક કર્યો. અમે લોકો પોલીસ સ્ટેશન ગયા અને હવે પોલીસ આ મામલે આગળની કાર્યવાહી કરી રહી છે. બસ હવે એવી આશા છે કે તે મળી જાય. 'ત્રણ લોકોએ અઢી-ત્રણ વર્ષ પહેલા જીવથી મારી નાખ્યો છે'દીપક (મૃતકના ભાઈનો મિત્ર)એ જણાવ્યું હતું કે, મને 26 જાન્યુઆરીએ અનિલ અને પ્રકાશનો ફોન આવ્યો કે અઢી ત્રણ વર્ષ પહેલા જે મારો ભાઈ ઘર છોડીને ચાલ્યો ગયો હતો, તે પોતાની મેળે ગયો નથી. તેને ત્રણ લોકોએ અઢી-ત્રણ વર્ષ પહેલા જીવથી મારી નાખ્યો છે અને જીવથી માર્યા પછી તેને જમીનમાં દફનાવી દીધો છે. 'નશાની હાલતમાં તેને મારીને જમીનમાં દફનાવી દીધો'દીપક (મૃતકના ભાઈનો મિત્ર)એ વધુમાં કહ્યું કે, મેં તે ત્રણેયને વચ્છરાજ ચાની લારી પર બોલાવ્યા. ત્યાં જે ત્રીજો છોકરો હતો, 1 સગીરે કરીને, તેણે આખી હકીકત જણાવી. તે પછી મેં પુણા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. પુણા પોલીસ તરફથી મને પૂરો સહયોગ મળ્યો. જે બીજા બે આરોપીઓ હતા, તે બંનેને લાવવામાં આવ્યા. તેને વધુમાં કહ્યું, અત્યારે પુણા પોલીસ સ્ટેશનની કાર્યવાહી ચાલુ છે, બધે ખોદકામ ચાલુ છે. અત્યાર સુધી કોઈ હાડકાં કે એવું કંઈ મળ્યું નથી. મળ્યા પછી આગળની જે કાર્યવાહી હશે તે થશે. દટાયેલા અવશેષ શોધવા પોલીસે GPR ટેક્નોલોજીનો સહારો લીધોડીસીપી આલોક કુમારે જણાવ્યું કે, આ કેસમાં સંડોવાયેલા તમામ લોકો અન્ય રાજ્યના છે, મૂળ ગુજરાતી નથી. તેઓ અહીં વ્યવસાય અર્થે આવ્યા હતા. આ આરોપીઓની ઉંમર 18 વર્ષથી ઓછી છે. પૈસાની લેવડદેવડ બાબતે થયેલી તકરારમાં આ હત્યા કરવામાં આવી હતી. જો મૃતદેહ ન મળે તો પોલીસ પાસે ટેકનિકલ વિગતો, CDR (કોલ ડિટેલ રેકોર્ડ્સ) અને અન્ય પુરાવાઓના આધારે તપાસ આગળ ધપાવવાનો વિકલ્પ છે. ગુનાનો મજબૂત કેસ બનાવવા માટે મૃતદેહ મળવો અત્યંત જરૂરી છે, તેથી અત્યારે અમારું મુખ્ય ધ્યાન તે શોધવા પર છે. મૃતકના પરિવારે છેલ્લા ત્રણ વર્ષથી સુરત શહેરના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી નહોતી. તેના ભાઈના જણાવ્યા અનુસાર, તેને તેના ભાઈ પરથી આશા છૂટી ગઈ હતી કારણ કે તેનો સ્વભાવ થોડો રખડુ હતો. જોકે, હાલમાં અમારું પ્રાથમિક લક્ષ્ય મૃતદેહ શોધવાનું છે.
ગુજરાતના નાગરિકોના પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ‘જન આક્રોશ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. વલસાડના કપરાડાથી શરૂ થયેલી આ યાત્રા નવસારીના ખેરગામ અને ચીખલી તાલુકામાં પહોંચી હતી. આ દરમિયાન પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકારને ચીમકી આપી હતી કે જો જનતાની સમસ્યાઓનું નિવારણ નહીં આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરશે. આદિવાસી વિસ્તારોમાં પરિવર્તનનો હુંકારનવસારી જિલ્લા કોંગ્રેસમાં નવો પ્રાણ ફૂંકવાના ઉદ્દેશ્ય સાથે નીકળેલી આ યાત્રા ખેરગામના વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરી ચીખલીના તલાવચોરા ગામે સભામાં પરિવર્તિત થઈ હતી. આ યાત્રાનું નેતૃત્વ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષી નેતા ડો. તુષાર ચૌધરીએ કર્યું હતું. જોકે, સભા તેના નિયત સમય કરતાં 2.5 કલાક મોડી શરૂ થઈ હતી. ભાજપ અને ‘આપ’ પર આકરા પ્રહારોસભાને સંબોધતા અમિત ચાવડાએ આમ આદમી પાર્ટીને ભાજપની ‘B ટીમ’ ગણાવી આક્ષેપ કર્યો હતો કે વિરોધ પક્ષોના મતો તોડવા માટે આ રણનીતિ ઘડવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભાજપ સરકાર દ્વારા કોંગ્રેસ સમર્પિત સરપંચો પર દબાણ લાવવામાં આવી રહ્યું છે. આદિવાસી પટ્ટામાં જળ, જમીન અને જંગલના અધિકારો છીનવાઈ રહ્યા હોવાના મુદ્દે તેમણે સરકારની આકરી ટીકા કરી હતી. SIR અને મતાધિકાર મુદ્દે કાયદાકીય લડતની જાહેરાતસ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)ના બીજા ચરણમાં ફોર્મ નંબર 7 મુદ્દે થતી ગેરરીતિઓ અંગે ચિંતા વ્યક્ત કરતા ચાવડાએ જણાવ્યું હતું કે, અજાણ્યા લોકો દ્વારા ફોર્મ ભરીને સ્થાનિક નાગરિકોને મતાધિકારથી વંચિત રાખવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ મામલે કોંગ્રેસ આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી અને પોલીસ ફરિયાદ નોંધાવશે. 20 વર્ષ બાદ ભાજપના ગઢમાં સભારસપ્રદ વાત એ છે કે, ભાજપનો ગઢ ગણાતા તલાવચોરા અને બારોલીયા ગામમાં કોંગ્રેસે 20 વર્ષના લાંબા ગાળા બાદ સભા યોજવામાં સફળતા મેળવી છે. સ્થાનિક સરપંચ પ્રિયંકા પટેલના સહયોગથી આ આયોજન શક્ય બન્યું હતું. ધારાસભ્ય અનંત પટેલે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, કોળી અને પટેલ (ધોળી) સમાજની એકતા હવે ચીખલી વિસ્તારમાં નવું રાજકીય સમીકરણ રચશે. આંતરિક જૂથવાદ સપાટી પરયાત્રાની સફળતા વચ્ચે કોંગ્રેસનો આંતરિક વિખવાદ પણ જોવા મળ્યો હતો. સભાના પ્રારંભે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ કોઈ કારણસર નારાજ જણાયા હતા અને તેઓ સ્ટેજથી દૂર રહેતા કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં Class-3 (Group-A અને Group-B) માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ 5,370થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે. Group-A હેઠળ કુલ 2,365 જગ્યાઓ ઉપલબ્ધ છે. જેમાં સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ સુપ્રીન્ટેન્ડન્ટ સહિતના પદોનો સમાવેશ થાય છે. જ્યારે Group-B માટે 3,005 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે, જેમાં જુનિયર ક્લાર્કના પદોનો સમાવેશ થાય છે. આ ભરતી માટે ઉમેદવારોને OJAS પોર્ટલ (https://ojas.gujarat.gov.in) મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જાહેરાત મુજબ અરજી પ્રક્રિયા તા. 5 ફેબ્રુઆરી 2026થી શરૂ થશે અને તા. 20 ફેબ્રુઆરી 2026 સુધી અરજી કરી શકાશે. પરીક્ષાની સમગ્ર પ્રક્રિયા સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા આધારે લેવામાં આવશે.ભરતીને લઈને શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પરીક્ષા પદ્ધતિ તથા અન્ય વિગતવાર માહિતી માટે ઉમેદવારોને GSSSBની અધિકૃત વેબસાઈટ (https://gsssb.gujarat.gov.in) પર જાહેરાત વાંચવાની સૂચના આપવામાં આવી છે.રાજ્યના યુવાઓ માટે સરકારી નોકરી મેળવવાની આ મોટી તક માનવામાં આવી રહી છે.
કાલાવડમાં ખેડૂતો સાથે ₹96.97 લાખની છેતરપિંડી:તલ, મગફળી ખરીદી નાણાં ન ચૂકવતા ફરિયાદ નોંધાઈ
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સોરઠા ગામના ખેડૂત કુલદીપભાઈ ગોરધનભાઈ કોઠીયાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ કાલાવડના કુંભનાથ પરા વિસ્તારમાં રહેતા દિલીપ નારદભાઈ સાવલિયા વિરુદ્ધ કરવામાં આવી છે. આરોપીએ કુલદીપભાઈ સહિત અન્ય ખેડૂતો પાસેથી આશરે 96,97,601 રૂપિયાની ખેત પેદાશો ખરીદી નાણાં ચૂકવ્યા ન હતા. પોલીસ ફરિયાદ મુજબ, આરોપી દિલીપ સાવલિયાએ ફરિયાદી કુલદીપભાઈ કોઠીયા પાસેથી મગફળી અને તલનો જથ્થો ખરીદ્યો હતો. આ ઉપરાંત, તેણે કાલાવડના ગ્રામ્ય વિસ્તારના અન્ય ખેડૂતો પાસેથી સફેદ ચણા સહિતની વિવિધ ખેત પેદાશો પણ મેળવી હતી. કુલ 96,97,601 રૂપિયાની માતબર રકમની ખેત પેદાશો ખરીદી લીધા બાદ આરોપી દિલીપ સાવલિયાએ ખેડૂતોને નાણાં ચૂકવ્યા ન હતા, જેના કારણે આખરે તેની સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદના આધારે, કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકના પીઆઈ એન.વી. આંબલીયા અને તેમની ટીમ દ્વારા સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ આરોપી દિલીપ સાવલિયા ફરાર છે, અને પોલીસ તેની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે અંગે પણ તપાસ ચલાવી રહી છે.
ભરૂચમાં જળ-સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ:કલેક્ટર ગૌરાંગ મકવાણાએ પાણી પુરવઠા યોજનાઓની સમીક્ષા કરી
ભરૂચ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ (વાસ્મો)ની બેઠક જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠક દરમિયાન જિલ્લામાં પાણી પુરવઠા અને સ્વચ્છતા સંબંધિત વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, તેમજ ચાલી રહેલી યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરાઈ હતી. બેઠકની શરૂઆતમાં 22મી ડિસેમ્બર, 2025ના રોજ યોજાયેલી અગાઉની બેઠકની કાર્યવાહી નોંધનું વંચાણ કરી બહાલી આપવામાં આવી હતી. ત્યારબાદ “જલ જીવન મિશન – નલ સે જલ” અને “ઓગમેન્ટેશન ઓફ ટેપ કનેક્ટિવિટી ઇન જનરલ” કાર્યક્રમ હેઠળ અમલમાં રહેલી યોજનાઓની કામગીરીની સમીક્ષા કરાઈ હતી. સંબંધિત અધિકારીઓને કામોની ગતિ ઝડપી કરવા જરૂરી સૂચનાઓ અપાઈ હતી. આ બેઠકમાં પાણી પુરવઠા યોજનાઓના બાકી ઓડિટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામ્ય કક્ષાની આંતરિક પાણી પુરવઠા યોજનાઓની મરામત અને જાળવણીની કામગીરી પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળી (PACS) અને સેલ્ફ હેલ્પ ગ્રુપ (SHG) મારફતે હાથ ધરવા બાબતે વિચારણા કરાઈ હતી. આ ઉપરાંત, ગ્રામ્ય કક્ષાના પંપ ઓપરેટરોને હેડવર્ક્સ ખાતે તાલીમ આપવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. 0 થી 30 ટકા પાણી વેરા વસૂલાત ધરાવતા ગામોની સમીક્ષા કરીને વેરા વસૂલાત વધારવા માટે પ્રોત્સાહક પગલાં લેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન પાણી વેરા વસૂલાત પ્રોત્સાહન યોજના, ગતિ શક્તિ પોર્ટલ પર થયેલી એન્ટ્રીઓ, તેમજ પાણી પુરવઠા સંબંધિત ફરિયાદો અને તેના નિવારણ અંગેની વિગતોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લામાં ઓપરેટરની નિમણૂક, ઓપરેટરના માનદવેતન, ઓપરેટર એપ લોગિન અને પાણી પુરવઠા યોજનાઓમાં તેમની કામગીરી અંગે પણ ચર્ચા થઈ હતી. સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) ફેઝ–2ના સુચારુ અમલીકરણ માટે ચાલી રહેલી કામગીરીની સમીક્ષા સાથે ‘જલ અર્પણ દિવસ’ માટે ગામોની પસંદગી અંગે પણ નિર્ણયાત્મક ચર્ચા કરવામાં આવી હતી. બેઠકના અંતે જિલ્લા કલેક્ટરે પાણી પુરવઠા અને સ્વચ્છતા સેવાઓને વધુ અસરકારક બનાવવા માટે તમામ સંબંધિત વિભાગોને પરસ્પર સંકલન સાથે કાર્ય કરવાની સૂચના આપી હતી.
વાપીના બિઝનેસ પાર્કમાં આગ, એક શ્રમિકનું નિધન:બે દાઝેલા શ્રમિકોમાંથી એકનું સારવાર દરમિયાન મોત
વાપીના વાઇબ્રન્ટ બિઝનેસ પાર્કમાં 2જી ફેબ્રુઆરીના રોજ એક કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં બે શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમાંથી એકનું સારવાર દરમિયાન મોત થયું છે. ફેક્ટરીમાં લાગેલી આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. આગ એટલી ઝડપથી ફેલાઈ કે અંદર કામ કરતા બે શ્રમિકો તેની ઝપેટમાં આવી ગયા. ઘટનાની જાણ થતાં જ વાપી અને આસપાસના ફાયર બ્રિગેડના દળો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા. દાઝી ગયેલા બંને શ્રમિકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રો અનુસાર, 21 વર્ષીય સની કુમાર હરિરામ નામના શ્રમિકનું સારવાર દરમિયાન અવસાન થયું છે. અન્ય એક શ્રમિકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ ઔદ્યોગિક વિસ્તારોમાં સલામતી વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
અમરેલી તાલુકાના સરંભડા ગામમાં રૂ. 3,95,23,400ના ખર્ચે પૂરસંરક્ષણ દીવાલના કામને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. રાજ્યના મંત્રી કૌશિક વેકરીયાના પ્રયાસોથી આ કામ મંજૂર થયું છે. આ કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવા માટે સંબંધિત વિભાગોને સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે. અમરેલી જિલ્લામાં, ખાસ કરીને અમરેલી વિધાનસભા ક્ષેત્રમાં, રાજ્ય સરકારના અનેક વિકાસ કામો ચાલી રહ્યા છે. સરંભડા ગામ નજીક પાણીના કારણે થતા નુકસાનને અટકાવવા માટે સ્થાનિક લોકોએ મંત્રી કૌશિક વેકરીયા સમક્ષ પૂરસંરક્ષણ દીવાલ બનાવવા માટે રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ, રાજ્યના જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આ પૂરસંરક્ષણ દીવાલના કામને મંજૂરી આપવામાં આવી છે. આ દીવાલના નિર્માણ પાછળ કુલ રૂ. 3,95,23,400નો ખર્ચ થશે. રાજ્ય કક્ષાના કાયદો અને ન્યાયતંત્ર તેમજ ઉર્જા વિભાગના મંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે, આ પૂરસંરક્ષણ દીવાલનું કામ પૂર્ણ થતાં આગામી સમયમાં વિસ્તારની પ્રજાને પૂરના પાણીના કારણે પડતી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે.
સુરતમાં એક યુવતીને નશાકારક ઈન્જેકશન આપી બે શખસોએ એક યુવતી પર વારંવાર દુષ્કર્મ આચર્યાનો ચકચારી બનાવ સામે આવ્યું છે. રાજસ્થાનના કોટાની યુવતીનો સોશિયલ મીડિયાના માધ્યમથી અમન નામના આરોપી સાથે સંપર્ક થયો હતો. અમને પોતાનો બર્થડે હોય સેલિબ્રેશન માટે યુવતીને સુરત બોલાવી હતી. અમનના મિત્ર મહંમદ તોહીદુલ પણ હિન્દુ નામ ધારણ કરી યુવતીના સંપર્કમાં આવ્યો હતો. અમને અને મહંમદે સુરત આવેલી યુવતીને નશાકારક ઈન્જેકશન આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે બંને આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. સોશિયલ મીડિયામાં સંપર્ક થયા બાદ યુવતીને બર્થ ડે સેલિબ્રેશન માટે સુરત બોલાવીરાજસ્થાનના કોટા પંથકની એક 21 વર્ષીય યુવતી સોશિયલ મીડિયાના માધ્યમથી સુરતના અમન નામના યુવકના સંપર્કમાં આવી હતી. ગત 25 ડિસેમ્બરના રોજ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. યુવતીનો 1 જાન્યુઆરીએ જન્મદિવસ હોવાથી, આરોપી અમન ઉર્ફે સાગરે તેને લલચાવી-ફોસલાવીને બર્થડે સેલિબ્રેશન કરવા માટે સુરત આવવા આમંત્રણ આપ્યું હતું. મિત્રતાના વિશ્વાસે યુવતી કોટાથી સુરત આવી પહોંચી હતી, પરંતુ તેને અંદાજ નહોતો કે અહીં તેની સાથે હેવાનિયતની તમામ હદો પાર કરવામાં આવશે. હિન્દુ નામ ધારણ કરી મહંમદ તોહીદુલે યુવતીને જાળમાં ફસાવીઆ સમગ્ર કેસમાં સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, મુખ્ય આરોપીઓ પૈકીના એક મહંમદ તોહીદુલે પોતાની અસલી ઓળખ છુપાવી હતી. તોહીદુલે પીડિતાને પોતે હિન્દુ હોવાનું જણાવ્યું હતું અને પોતાનું નામ 'રોહિત ઉર્ફે તુષાર' હોવાની ખોટી ઓળખ આપી હતી. ધર્મ અને નામ છુપાવીને યુવતીનો વિશ્વાસ જીત્યા બાદ તેને પોતાના સકંજામાં લીધી હતી. આ રીતે સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઈલ અને ખોટી ઓળખ ઉભી કરી યુવતીને પ્રેમજાળમાં ફસાવવાનું આયોજનબદ્ધ કાવતરું ઘડવામાં આવ્યું હતું. નશીલા ઈન્જેક્શન આપી 20 દિવસ સુધી નરક જેવી યાતનાયુવતી જેવી સુરત પહોંચી કે તરત જ આરોપી અમન વર્મા અને મહંમદ તોહીદુલ તેને સુરતની 'મૂનલાઈટ' સહિતની જુદી-જુદી હોટલોમાં લઈ ગયા હતા. ત્યાં તેને બંધક બનાવી લેવામાં આવી હતી. બર્થડે મનાવવાના બહાને બોલાવેલી યુવતીને સતત 20 દિવસ સુધી ગોંધી રાખવામાં આવી હતી. એટલું જ નહીં, આરોપીઓ તેને નશીલા ઈન્જેક્શન આપીને બેભાન કરી દેતા હતા અને તેની પર વારંવાર દુષ્કર્મ આચરતા હતા. યુવતીને માર મારીને તેના સોનાના દાગીના પણ લૂંટી લેવામાં આવ્યા હતા. આરોપીઓ તેને દેહવેપાર જેવા નરક સમાન કામમાં પણ ધકેલવાનો પ્રયાસ કરતા હતા. હિંમત દાખવી નરાધમોના સકંજામાંથી છૂટી પોલીસને જાણ કરીસતત 20 દિવસ સુધી શારીરિક અને માનસિક ત્રાસ વેઠ્યા બાદ, એક દિવસ યુવતીને તક મળતા તે નરાધમોના સકંજામાંથી ભાગવામાં સફળ રહી હતી. પીડિતાએ હિંમત હાર્યા વગર રાંદેર પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો અને પોતાની સાથે થયેલી આપવીતી વર્ણવી હતી. કોટામાં ઝીરો નંબરથી FIR નોધાઇ હતી અને ત્યારબાદ સુરત ટ્રાન્સફર કરવામાં આવી.યુવતીની ગંભીર ફરિયાદ સાંભળીને પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને આ મામલે પીઆઈ આર.જે.ચૌધરીએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. વેઈટર અને દરજી કામ કરતા બંને આરોપીઓની ધરપકડરાંદેર પોલીસે તપાસ હાથ ધરીને ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને દબોચી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં 21 વર્ષીય અમન ઉર્ફે સાગર અજય ગયાપ્રસાદ વર્મા (જે હોટલમાં વેઈટર તરીકે કામ કરે છે) અને 28 વર્ષીય મહંમદ તોહીદુલ ઉર્ફે તુષાર (જે દરજી કામ કરે છે અને મૂળ બંગાળનો વતની છે) નો સમાવેશ થાય છે. પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે આ અગાઉ પણ આ ટોળકીએ અન્ય કોઈ યુવતીઓને આ રીતે શિકાર બનાવી છે કે કેમ?
કોંગ્રેસે મતદાર યાદીમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો:Form-7ના દુરુપયોગ અંગે ચૂંટણી પંચને આવેદનપત્ર આપ્યું
દસાડા વિધાનસભાના કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ મતદાર યાદી વિશેષ સુધારણા પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિઓનો આરોપ લગાવ્યો છે. તેમણે Form-7 (નામ રદ કરવા/આપત્તિ)ના વ્યાપક દુરુપયોગ અંગે ચૂંટણી પંચને આવેદનપત્ર સુપરત કર્યું છે. કોંગ્રેસે આ મામલે ફોજદારી કાર્યવાહીની માંગ કરી છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે, મતદાર યાદી વિશેષ સુધારણા (Special Intensive Revision - SIR) પ્રક્રિયા દરમિયાન BLO દ્વારા સ્થળ તપાસ કરીને નોંધવામાં આવેલા વાસ્તવિક અને પ્રમાણિક મતદારોના નામો દૂર કરવાના ગુનાહિત ઈરાદા સાથે Form-7નો મોટા પાયે દુરુપયોગ થયો છે. પ્રાથમિક પુરાવાઓ આ સ્પષ્ટ કરે છે. કોંગ્રેસના મતે, હજારોની સંખ્યામાં (આશરે 5,000થી 10,000) Form-7 એકસાથે ભરવામાં આવ્યા છે. આ ફોર્મ સોફ્ટવેર અથવા ઓટોમેટેડ પદ્ધતિથી જનરેટ કરવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. ત્યારબાદ, આ ફોર્મ છાપીને આયોજનબદ્ધ રીતે વિધાનસભા મતવિસ્તારોમાં ભાજપના કાર્યકરોને પહોંચાડવામાં આવ્યા હતા. આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે, એક જ વ્યક્તિ દ્વારા આશરે 25-50થી 200 ફોર્મ પર એકસરખી કે અલગ અલગ સહીઓ કરી, નામ, EPIC નંબર તથા મોબાઈલ નંબર લખવામાં આવ્યા છે. ઘણા કિસ્સાઓમાં એક જ વ્યક્તિના અલગ અલગ બોગસ મોબાઈલ નંબરનો ઉપયોગ થયો છે. ભાજપના રાજકીય કાર્યકરોને ખોટા 'ઓબ્જેક્ટર' (આપત્તિ ઉઠાવનાર) તરીકે ઊભા રાખવામાં આવ્યા છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, ખાસ કરીને ગરીબ, OBC (અન્ય પછાત જાતિઓ), મુસ્લિમ તથા અનુસૂચિત જાતિ (SC/Dalit)ના મતદારોને લક્ષ્ય બનાવી તેમના નામ મતદાર યાદીમાંથી કાઢવાનો ભયંકર ગુનાહિત પ્રયાસ કરવામાં આવ્યો છે. આવા ફોર્મ સંબંધિત કચેરીઓમાં જમા કરાવવામાં આવ્યા છે. આ કૃત્યો ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 હેઠળ દંડનીય ગુનાઓ બને છે. તેમાં કલમ 61 (ગુનાહિત ષડયંત્ર), કલમ 316 (છેતરપિંડી), કલમ 334 અને 336 (ખોટા દસ્તાવેજ બનાવવું), કલમ 337 (ખોટી ઓળખ ધારણ કરવી) અને કલમ 341 (જાહેર રેકોર્ડ સાથે ચેડા)નો સમાવેશ થાય છે, કારણ કે મતદાર યાદી એક જાહેર દસ્તાવેજ છે. આ ઉપરાંત, Representation of the People Act, 1950 હેઠળ મતદાર યાદી અંગે ખોટું નિવેદન કરવું પણ ગુનો છે. કોંગ્રેસે જણાવ્યું કે, ભારતના સંવિધાનના અનુચ્છેદ 14, 15, 19(1)(a) અને 326 હેઠળના મૂળભૂત અધિકારોનો પણ આ રીતે ભંગ થાય છે. આવેદનપત્રમાં ચૂંટણી પંચ (ECI)ની માર્ગદર્શિકાઓના ઉલ્લંઘનનો પણ ઉલ્લેખ કરાયો છે. ECIની માર્ગદર્શિકા મુજબ, બલ્કમાં Form-7 સ્વીકાર્ય નથી. ઓબ્જેક્ટરની વ્યક્તિગત ઓળખ અને જાણકારી ફરજિયાત છે, અને EROની ફરજ છે કે તે પ્રાથમિક દ્રષ્ટિએ ખોટા ફોર્મ તરત રદ કરે. કોંગ્રેસે આ સમગ્ર મામલે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી લોકશાહી પ્રક્રિયાની પવિત્રતા જાળવી શકાય. 1.તમામ Bulk Form-7 પર તાત્કાલિક રોક (Stay) મૂકવામાં આવે.2શંકાસ્પદ Form-7 ને prima facie રદ કરવામાં આવે.3.હેન્ડ રાઇટિંગ અને ફોરેન્સિક તપાસ હાથ ધરવામાં આવે.4.ફોર્મ ક્યાં પ્રિન્ટિંગ થયા છે તેમજ સોફ્ટવેર સોર્સની તપાસ થાય.5.આ જથ્થાબંધ ફોર્મ કચેરીમાં કોણ જમા કરાવી ગયું તેની તપાસ કરવી,કચેરીના સીસી ટીવી તપાસવામાં આવે તથા જે કર્મચારી દ્વારા સ્વીકારવામાં આવ્યા હોય તેની તપાસ કરવામાં આવે.5.જવાબદાર વ્યક્તિઓ (જે જે લોકોએ આ ગુનામાં મદદગારી કરી હોય તે તમામ) સામે BNS તથા RPA હેઠળ FIR નોંધવામાં આવે.6.અસરગ્રસ્ત મતદારોના નામ યથાવત રાખવામાં આવે.7.સમગ્ર મામલો Election Commission of India ને રિપોર્ટ કરવામાં આવે.જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો અમને ઉચ્ચ અધિકારીઓ તથા માનનીય ન્યાયાલયનો આશરો લેવાની ફરજ પડશે આ ઉપરાંત હજારો લોકોના અસ્તિત્વનો ખતરો ઉભો થતો હોય અમોને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં મંગળવારે(3 ફેબ્રુઆરી) રાત્રે 3 શખ્સોએ માત્ર 150 રૂપિયા માટે યુવક પર ચપ્પુથી હિંસક હુમલો કર્યો હતો. જેથી તેને લોહી લુહાણ હાલતમાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા માંજલપુર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે ત્રણ શખ્સ સામે ગુનો નોંધીને મદદ તપાસ શરૂ કરી છે. 'બે જણાએ તેને પકડી લીધો અને ત્રીજાએ ચપ્પુના ઘા મારી દીધા'ઈજાગ્રસ્ત યુવકના પિતા અનિલભાઈએ જણાવ્યું હતું કે, મંગળવારે તેઓ રિક્ષામાં આવ્યા અને મારા છોકરાને બહાર બોલાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, લે ભાઈ, તારા 150 રૂપિયા લઈ લે. જેવો મારો છોકરો ત્યાં ગયો, કોઈ પણ વાતચીત કર્યા વગર બે જણાએ તેને પકડી લીધો અને ત્રીજાએ ચપ્પુના ઘા મારી દીધા હતા. ત્રણ શખ્સોએ યુવક પર છરીથી હુમલો કર્યોમાંજલપુર વિસ્તારમાં આવેલ અમર કૃપા સોસાયટીમાં રહેતાં 26 વર્ષીય મનિષભાઈ કોયારામ મારવાડીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે 2 ફેબ્રુઆરી 2026ના રોજ સાંજના સાત વાગ્યાની આસપાસ કાર્તિક નામના યુવક તથા તેના બે સાથીઓ ફરિયાદીના ઘર આગળ આવ્યા હતા અને ગાળાગાળી કરી હતી. યુવકે તેમને ગાળો બોલવાથી રોકતા સામાન્ય બોલાચાલી થઈ હતી અને ત્રણેય જણા ત્યાંથી જતા રહ્યાં હતા. ચપ્પુ પેટમાં અને હાથમાં મારી દીધુંત્યારબાદ 3 ફેબ્રુઆરી 2026ના રોજ રાત્રિના 10.30 વાગ્યાની આસપાસ કાર્તિક તથા તેના બે સાથીઓ ફરિયાદીના ઘરે આવ્યા હતા અને આગલા દિવસની વાતને લઈને વાતચીત કરવાના બહાને તેમને ઘરની નજીક આવેલા શ્રી સાંઈબાબા મંદિર પાસેના રોડ પર લઈ ગયા હતા. વાતચીત દરમિયાન તેઓએ અચાનક ગાળાગાળી શરૂ કરી દીધી હતી. આ દરમિયાન કાર્તિક તથા એક અન્ય વ્યક્તિએ ફરિયાદીને પકડી રાખ્યો હતો, જ્યારે ત્રીજા વ્યક્તિએ ચપ્પુ દ્વારા તેના પેટના જમણા ભાગે ધા મારી દીધી હતી. ફરિયાદીએ ચપ્પુ પકડવાના પ્રયાસમાં જમણા હાથના અંગૂઠામાં ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તને સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હુમલા બાદ ત્રણેય આરોપીઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. ઈજાગ્રસ્ત યુવકના પિતા અનિલભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમણે પોતાના ખાનગી વાહન દ્વારા ઈજાગ્રસ્તને સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હાલમાં તે સારવાર હેઠળ છે. આ ઘટના અંગે મનિષભાઈએ કાર્તિક તથા તેના બે અજાણ્યા સાથીઓ વિરુદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. માંજલપુર પોલીસ આ ઘટનાની તપાસ હાથ ધરી રહી છે. '150 રૂપિયા લેવા માટે પેલા લોકો પાસે ગયો'ઈજાગ્રસ્ત યુવકના પિતા અનિલભાઈએ જણાવ્યું હતું કે, સોમવારે મારો છોકરો તેના મહેનતના 150 રૂપિયા લેવા માટે પેલા લોકો પાસે ગયો હતો. જ્યારે તેણે પોતાના પૈસા માંગ્યા હતા, ત્યારે તેઓ ગાળાગાળી કરવા લાગ્યા હતા. મારા છોકરાએ માત્ર એટલું જ કહ્યું કે, ગાળો ના આપશો, જો અત્યારે પૈસા ન હોય તો વાંધો નહીં પણ આવી રીતે વર્તન ના કરશો. આ સાંભળીને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા. હુમલાખોરો રિક્ષામાં આવ્યા ને તૂટી પડ્યાઈજાગ્રસ્ત યુવકના પિતાએ કહ્યું કે, હુમલાખોરો રિક્ષામાં આવ્યા હતા. તેમાંથી એકનું નામ કાર્તિક અને બીજાનું નામ સિકંદર છે. બાકીના બે વ્યક્તિઓના નામ અમે જાણતા નથી. આ ઘટના મારુતિધામ અમરકૃપા સોસાયટી, મકાન નંબર 82 પાસે આવેલી મોબાઈલની દુકાન નજીક બની હતી. આ તમામ દ્રશ્યો મંદિરના CCTV કેમેરામાં કેદ થયા છે. આ પણ વાંચો યુવકને મોત આપ્યા બાદ પણ છરી-લાતો મારતો રહ્યો, CCTVરાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ વિસ્તારમાં આજે એક લોહિયાળ હત્યાની ઘટના સામે આવી છે. આશરે 40થી 45 વર્ષની ઉંમરના એક યુવાનને છરીના અનેક ઘા ઝીંકીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ લાશ લોહીલુહાણ હાલતમાં જોવા મળી હતી, જેના કારણે આખા વિસ્તારમાં ભય અને આક્રોશનો માહોલ સર્જાયો હતો. હાલ આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે, જેમાં અજાણ્યો શખસ યુવકને મારતો નજરે પડે છે.(વાંચો સંપૂર્ણ સમાચાર) ઉપરા-છાપરી છરાના ઘા ઝિંકી આંતરડાં બહાર કાઢી નાખ્યાગત 27 જાન્યુઆરી, 2026ના રોજ વડોદરાના જૂના પાણીગેટ પોલીસ સ્ટેશન સામે જ વિશાલ કહારે તેની લિવ-ઇન પાર્ટનરના પૂર્વ પતિ મોહંમદ હુસૈન ઝુલફીકાર અલી સૈયદને ઉપરા-છાપરી છરાના ઘા ઝિંકી આંતરડાં બહાર કાઢી નાખ્યા હતાં. આ હુમલા બાદ પાણીગેટમાં અરાજકતા છવાઇ હતી. હાલમાં આરોપીના રિમાન્ડ પૂર્ણ થયા છે અને આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો છે. (વાંચો સંપૂર્ણ સમાચાર)
વડોદરા શહેર જિલ્લામાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. ગતરોજ જિલ્લાના ડભોઇ વડોદરા રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકના પાછળના ટાયર બાઇક ચાલક પર ચઢી જતા બાઇકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જ્યારે યુવકને ગંભીર ઇજાઓ થતા રોડ પર જ લોહીની ધાર વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. અકસ્માતમાં યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ મામલે ડભોઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ટ્રકના વ્હીલ નીચે આવી જતા બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુંવડોદરા જિલ્લાના ડભોઇ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં પલાસવાડા ગામના યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં પુરપાટ દોડતી ટ્રક ચાલકે યુવકની બાઈકને અડફેટે લીધી હતી. યુવકની બાઈક ઉપર ટ્રકનાં પાછડનાં ટાયર ફરી વળતાં યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ યુવક ખેતી કામ પતાવી વડોદરા જતો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. આ ગમખ્વાર અકસ્માતમાં મૃતક યુવકનું નામ વિરલ મહેન્દ્રભાઈ પટેલ( ઉંમર વર્ષ 42, રહે પલાસવાડા ડભોઇ) હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતને લઈ ડભોઇ વડોદરા રોડ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. મૃતક યુવક રોડ પર હતો ત્યારે ગંભીર ઇજાઓને લઈ લોહી વહી રહ્યું હતું. યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જો કે અકસ્માત સ્થળે જ યુવકે દમ તોડ્યો હતો. ફરાર થઈ ગયેલા ટ્રકચાલકની શોધખોળઆ અકસ્માતમાં મૃતક યુવકના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે અને આ મામલે ડભોઇ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ જતા પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
રાજકોટ મનપા કમિશનર તુષાર સુમેર દ્વારા નાણાકીય વર્ષ 2026-27નું લીવેબલ થીમ સાથેનું 3595.70 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે જેમાં મિલ્કત વેરા અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં વધારો સૂચન કરાયો છે. રહેણાંક મિલકતોમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં 365ના બદલે 800 રૂપિયા કરવા સૂચન કરાયું છે જયારે બિન રહેણાંક મિલકતોમાં 1460ના બદલે 3200 રૂપિયા કરવા સૂચન કર્યું છે એટલે કે ગાર્બેજ કલેક્શન મારફત મનપાને 46 કરોડની આવક થવાની ધારણા છે જયારે પાણી વેરામાં રહેણાંક મિલકતો માટે 1500ના બદલે 2400 રૂપિયા અને બિન રહેણાંક મિલ્કતો માટે 3000ના બદલે 4800 રૂપિયા કરવા સૂચન કર્યું છે.
બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરના પાવન આંગણે મહાશિવરાત્રિ પર્વને લઈને વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. મહાશિવરાત્રિ પૂર્વે જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે વહેલી સવારે મંદિર પરિસર, શોપિંગ હાટ અને આસપાસના વિસ્તારોની પગપાળા મુલાકાત લઈ વ્યવસ્થાઓની સ્થળપર સમીક્ષા કરી હતી. દર વર્ષે મહાશિવરાત્રિ દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શનાર્થે ઉમટી પડતા હોય છે. આ વર્ષે પણ ભક્તોની વિશાળ ભીડ રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ, દર્શન વ્યવસ્થા અને સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના તમામ મુદ્દાઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. દર્શન સરળ બને તે માટે વિશેષ આયોજનકલેક્ટરે શ્રદ્ધાળુઓને સરળ, સુવ્યવસ્થિત અને સુરક્ષિત દર્શન મળી રહે તે માટે ફ્રિસ્કિંગ પોઈન્ટ, લગેજ ચેકિંગ પોઈન્ટ, કતાર વ્યવસ્થા અને પ્રવેશ-નિર્ગમ માર્ગોની જાતે તપાસ કરી. સાથે જ બહારથી આવતા યાત્રિકો માટે પૂરતી પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવા અને ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જાય તે માટે સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું. રાહદારીઓ માટે ખાસ વ્યવસ્થામહાશિવરાત્રિના મુખ્ય દિવસોમાં ભીડ નિયંત્રણ માટે જૂના સોમનાથ મંદિર તરફ જતો તથા સાગરદર્શન તરફનો માર્ગ માત્ર રાહદારીઓ માટે જ રાખવાનો નિર્ણય લેવાયો છે. વન-વે ટ્રાફિક સિસ્ટમ અને નો-પાર્કિંગ ઝોનનું કડક અમલ થાય તે માટે જાહેરનામા બહાર પાડવામાં આવશે. ભક્તિ અને સંસ્કૃતિનું સંગમમાત્ર દર્શન જ નહીં પરંતુ ભક્તિભાવને વધુ ઉંડો બનાવે તેવા આયોજન પણ કરવામાં આવ્યા છે. મહાશિવરાત્રિ નિમિત્તે તા. 14, 15 અને 16 દરમિયાન સોમનાથ મંદિર પરિસરમાં ભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ભજન, કીર્તન અને આધ્યાત્મિક રજૂઆતો દ્વારા સમગ્ર પરિસર ભક્તિમય માહોલમાં તરબતર બનશે. સાથે જ શ્રદ્ધાળુઓ માટે પ્રસાદ ભંડારાની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. વહીવટી તંત્ર અને ટ્રસ્ટનું સંકલનભક્તોની સુવિધા અને સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને જિલ્લા વહીવટી તંત્ર અને સોમનાથ ટ્રસ્ટ વચ્ચે સઘન સંકલન સાધવામાં આવ્યું છે. કલેક્ટરની પ્રત્યક્ષ મુલાકાત દરમિયાન નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી વિનોદ જોશી, સોમનાથ મંદિરના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, પી.જી.વી.સી.એલ., નગરપાલિકા તથા અન્ય સંબંધિત વિભાગોના શીર્ષ અધિકારીઓ હાજર રહ્યા હતા. શ્રદ્ધાળુઓ માટે સંદેશવહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ ટ્રાફિક નિયમોનું પાલન કરે, નિર્ધારિત પાર્કિંગનો જ ઉપયોગ કરે અને વ્યવસ્થાઓમાં સહકાર આપે, જેથી મહાશિવરાત્રિનો પર્વ સૌ માટે સુખદ, સુરક્ષિત અને સ્મરણિય બની રહે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા સિનિયર આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની બદલીઓ અને વધારાની જવાબદારી તેમજ વિભાગોની ફાળવણી કરવામાં આવી છે. એક આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર બદલીના રાઉન્ડમાં છ મહિના કાઢી ફરી અગાઉ જે વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર હતા ત્યાં જ બદલી કરાવી લીધી છે. તો સીએનસીડી વિભાગમાં પણ હવે એક આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને જવાબદારી સોંપી દેવામાં આવી છે. AMC અધિકારીઓ કર્મચારીઓમાં ચર્ચા છે કે ભૂતકાળમાં ફરજ બજાવતા હતા, એવા ઝોન અને વોર્ડમાં ફરી જવા પાછળનું કારણ તેમના ભૂતકાળના વિવાદોને ધ્યાનમાં લેવામાં આવ્યા નથી અને રાજકીય લાગવગ લગાવી અને ફરી પોસ્ટિંગ મેળવી લીધું છે. દિપક ત્રિવેદી નિવૃત્ત થતા તેમની જવાબદારી મનીષ ત્રિવેદીને સોંપાઈમ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની બદલીઓ અને વધારાની જવાબદારી આપવામાં આવી છે. જેમાં દક્ષિણ ઝોનના એચઓડી તરીકે દિપક ત્રિવેદી નિવૃત્ત થતા તેમની જવાબદારી મનીષ ત્રિવેદીને આપવામાં આવી છે. સાથે દાણીલીમડા અને બહેરામપુરા વોર્ડ પણ સોંપવામાં આવ્યો છે. કિરણ વનાલિયાની બદલી, હિતેશ ગજ્જર ફરીથી પૂર્વ ઝોનમાંઅમદાવાદ શહેરના સૌથી મોટા વોર્ડ ગણાતા લાંભા વોર્ડ ઉપરાંત દાણીલીમડા અને બહેરામપુરાની જવાબદારી સંભાળતા કિરણ વનાલિયાની બદલી કરી તેમને પશ્ચિમ ઝોનમાં સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડ અને AMC મેટની જવાબદારી આપવામાં આવી છે. ભૂતકાળમાં પૂર્વ ઝોનમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા હિતેશ ગજ્જરને ફરીથી પૂર્વ ઝોનમાં વસ્ત્રાલ, રામોલ-હાથીજણ, ભાઈપુરા- હાટકેશ્વર વોર્ડ સોંપવામાં આવ્યો છે. દેવેન ભટ્ટને લાંભા વોર્ડ સોંપાયોપૂર્વ ઝોનમાં આજ વોર્ડ સંભાળતા દિવ્યેશ પટેલને હિતેશ ગજ્જર સંભાળતા દરીયાપુર, શાહપુર, ખાડિયા, જમાલપુર વોર્ડ સોંપવામાં આવ્યા છે. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પંકજ ભુતને બાલવાટિકાની જ્યારે દેવેન ભટ્ટને નરોડાથી બદલી કરી લાંભા વોર્ડ સોંપવામાં આવ્યો છે. કેલ્વિન કાપડીયાને નરોડા વોર્ડની વધારાની જવાબદારી આપવામાં આવી છે. રખડતા ઢોર પોલિસી નો કડક અમલ કરાવવા બે અધિકારીશહેરમાં નો કેટલ ઝોનમાં અને રોડ ઉપર રખડતા ઢોર ન જોવા મળે તેના માટે સીએનસીડી વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેને ધ્યાનમાં રાખીને શહેરમાં અમલીકરણની કામગીરી માટે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને વહેંચી દેવામાં આવ્યા છે. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સૌરભ પટેલને પશ્ચિમ વિસ્તારમાં અને સીએનસીડી વિભાગના એચઓડી નરેશ રાજપૂતને પૂર્વ વિસ્તારની જવાબદારી સોંપવામાં આવી છે. શહેરમાં રખડતા ઢોર પોલિસી નો કડક અમલ કરાવવા માટે હવે સીધી રીતે બંને અધિકારીઓની જવાબદારી રહેશે.
સુરેન્દ્રનગર સબ જેલમાંથી 4 મોબાઈલ મળ્યા:તપાસમાં ₹1300નો પ્રતિબંધિત સામાન જપ્ત
સુરેન્દ્રનગર સબ જેલમાંથી ફરી એકવાર પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે. જેલની બેરેક નંબર 3માં આવેલા ટોયલેટમાંથી ખાડો ખોદીને છુપાવેલા ચાર મોબાઈલ ફોન સહિત કુલ 1300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગર સબ જેલના જેલર એફ.એસ. મલેક અને તેમની ટીમે જેલમાં અચાનક તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન બેરેક નંબર 3ના ટોયલેટમાં જમીનમાં ખાડો કરીને દાટેલી હાલતમાં આ પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ત્રણ કીપેડવાળા મોબાઈલ ફોન, એક એન્ડ્રોઈડ ફોન, એક ચાર્જર અને એક હેન્ડસ ફ્રીનો સમાવેશ થાય છે. આ તમામ વસ્તુઓની કુલ કિંમત 1300 રૂપિયા આંકવામાં આવી છે. આ મોબાઈલ ફોન કોના હતા તે અંગે કેદીઓને પૂછપરછ કરતા કોઈએ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. આથી, જેલરે અજાણ્યા કેદીઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે પ્રિઝન એક્ટની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ એચ.એસ. જાડેજા ચલાવી રહ્યા છે. નોંધનીય છે કે સુરેન્દ્રનગર સબ જેલમાં અગાઉ પણ પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવાના બનાવો બન્યા છે. ભૂતકાળમાં હાથ-પગના મોજાનો દડો બનાવી અને સેલોટેપનો ઉપયોગ કરીને મોબાઈલ મંગાવવામાં આવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું હતું.
સુરતમાં સિનિયર સિટીઝન સાથે 42,28,856 ની છેતરપિંડી આચરનાર આંતરરાજ્ય ગેંગના મુખ્ય કડી સમાન આરોપી વિશાલ ઉર્ફે વિધાતા ઝાલાવાડિયાની ધરપકડ કરી છે. 29 વર્ષીય વિશાલ, જે B.Com. થયેલો છે, તેણે બેંક મેનેજર રાહુલ મિસ્ત્રી સાથે મળીને છેતરપિંડીના નાણાં છુપાવવા માટે પોતાના મિત્રો અને પરિચિતોના નામે કુલ 7 જેટલા 'મ્યુલ' બેંક ખાતાઓ ખોલાવી આપ્યા હતા. આ સમગ્ર કૌભાંડમાં વિશાલની ભૂમિકા નાણાકીય લેવડદેવડ માટેનું માળખું પૂરું પાડવાની હતી, જેના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નકલી SEBI સર્ટિફિકેટ અને 10% નફાની લાલચઆ કૌભાંડની વિગત એવી છે કે ઠગબાજોએ ફરિયાદી સિનિયર સિટીઝનનો વોટ્સએપ દ્વારા સંપર્ક કરી તેમને શેરબજારમાં ટૂંકા ગાળામાં મોટો નફો મેળવવાની લાલચ આપી હતી. આરોપીઓએ ‘Bajaj Financial Securities Limited’ જેવી પ્રતિષ્ઠિત કંપનીના નામે વિશ્વાસ જીતવા માટે સેબી (SEBI) નું એક બોગસ સર્ટિફિકેટ પણ મોકલી આપ્યું હતું. ફરિયાદીને સસ્તા દરે આઈપીઓ (IPO) અપાવવાની ખાતરી આપી, આરોપીઓએ અલગ-અલગ તબક્કે કુલ Rs. 42,28,856 જેટલી રકમ પોતાની જાળમાં ફસાવીને ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધી હતી. બેંક મેનેજર સાથે મળીને રચ્યું મ્યુલ એકાઉન્ટનું જાળુંપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપી વિશાલ ઝાલાવાડિયા અગાઉ ભરૂચ ખાતે રેતી-કપચીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. આ દરમિયાન તેની ઓળખાણ એક ખાનગી બેંકના મેનેજર રાહુલ મિસ્ત્રી સાથે થઈ હતી. રાહુલે તેને કમિશનની લાલચ આપતા, વિશાલે પોતાના મિત્ર તુષાર વિરાણી અને અન્ય લોકોના દસ્તાવેજોનો ઉપયોગ કરી કુલ 7 બેંક ખાતાઓ ખોલાવ્યા હતા. આ ખાતાઓનો ઉપયોગ સાયબર ફ્રોડના ગંદા નાણાં ફેરવવા માટે કરવામાં આવતો હતો. કુલ 7 આરોપીઓની ધરપકડ અને પોલીસ કાર્યવાહીસાયબર ક્રાઇમ સેલે આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ 7 શખ્સોને દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં વિશાલ ઉપરાંત બેંક મેનેજર રાહુલ મિસ્ત્રી (45 વર્ષ), મીત સેલીયા (27 વર્ષ), દીપક નાયક (27 વર્ષ), કેવલ દિયોરા (27 વર્ષ), મિલન સાંગાણી (31 વર્ષ) અને ઉર્વિશ નસીત (22 વર્ષ) નો સમાવેશ થાય છે. આ ટોળકી અત્યંત સંગઠિત રીતે કામ કરતી હતી અને નિર્દોષ લોકોના નામે કરંટ એકાઉન્ટ ખોલાવી ગુનાને અંજામ આપતી હતી. આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂરહાલમાં વિશાલ ઝાલાવાડિયાને કોર્ટમાં રજૂ કરી સાયબર પોલીસે 2 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ મ્યુલ એકાઉન્ટ્સમાં અત્યાર સુધીમાં કેટલા કરોડના વ્યવહારો થયા છે અને આ ગેંગના તાર અન્ય કયા રાજ્યો કે દેશો સાથે જોડાયેલા છે. સુરત સાયબર ક્રાઇમ સેલના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વધુ તપાસ ચાલુ છે.
4 ફેબ્રુઆરી એટલે વિશ્વ કેન્સર દિવસ. આજે વાત એક એવી કેન્સર વોરિયર મહિલાની કે જેને બ્રેસ્ટ કેન્સરને હરાવી સામાન્ય જીવન જીવી રહ્યા છે. ISROમાં વૈજ્ઞાનિક તરીકે કાર્યરત રિંકુ અગ્રવાલે કેન્સરને હરાવ્યા બાદ ઈસરોના ચંદ્રયાન-3 મિશન સહિતના પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા છે. કેન્સરને કઈ રીતે માત આપી તે અંગે રિંકુ અગ્રવાલે ભાસ્કર સાથે વાતચીત કરી હતી. કેન્સર બીમારીથી પીડાતી હજારો મહિલા માટે પ્રેરણાસ્ત્રોત બન્યાબ્રેસ્ટ કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડીને પણ પોતાના સપનાઓને જીવંત રાખનાર અને ભારતના ગૌરવરૂપ અંતરિક્ષ મિશન ચંદ્રયાન-3 પર કામ કરનાર ISROની વૈજ્ઞાનિક રિંકુ અગ્રવાલ આજે હજારો મહિલાઓ માટે પ્રેરણાસ્રોત બની છે. અમદાવાદ સ્થિત ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) ના સ્પેસ એપ્લિકેશન સેન્ટરમાં સિનિયર સાયન્ટિસ્ટ/એન્જિનિયર અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે કાર્યરત 50 વર્ષીય રિંકુ અગ્રવાલ બ્રેસ્ટ કેન્સર સર્વાઈવર છે. કેન્સરની લડાઈ શરૂ થયી ત્યારે કીમોથેરાપી શું છે એ ખબર પણ નહોતી, એટલું ખબર હતું કે લોકોના કીમોથેરાપીથી માથાના વાળ જતા રહે છે. એમણે જણવ્યું કે જયારે પહેલો કીમોની ડોઝ લીધી ત્યારે આખું શરીર તૂટી ગયું હતું ,એવું લાગે કે હવે સહન નહિ થયી શકે. 21 દિવસ માં થી સાત દિવસ તો જાને કટોકટી ના હોઈ પણ બાકી ના 14 દિવસ માં કીમોની અસર થોડી ઓછી થયી યતી હતી એટલે એ ઓફિસે જતા અને બાળકોન નું પણ ધ્યાન રાખી શકતા હતા . મનોમન નક્કી કર્યું કે મારે મારા બાળકો માટે જીવવું છે- રિંકુ અગ્રવાલઆખા સફર એમણે ઘણા ફિઝિકલ અને મેન્ટલ ચેલેન્જ અનુભવ્યા હતા. શરીર ના દુખાવા થી આગળ શું થશે એની ચિંતા થી ડર લાગતું હતું . પણ ડૉક્ટરોએ ઘણો સપોર્ટ કર્યો અને એમને હોસલો આપ્યો કે સારવાર પછી એ પહેલાની જેમ જિંદગી જીવી શકશે. હોસ્પિટલમાં વહેલા નિદાન અંગેના એક કાર્યક્રમ દરમિયાન રિંકુ અગ્રવાલે પોતાની કહાની શેર કરતાં જણાવ્યું હતું કે, જ્યારે તેમને કેન્સર હોવાની ખબર પડી ત્યારે તેમનો પહેલો પ્રશ્ન ISROના ડૉક્ટરને એ જ હતો કે શું કીમોથેરાપી લેવી પડશે? કારણ કે તેમને ખબર હતી કે તેનાથી વાળ જશે. એમના માટે વાળ બહુ લાગણીનો વિષય હતો એટલે એ અરીસો પણ જોતા ન હતા. તેમણે મનમાં નક્કી કરી લીધું હતું કે તેઓ કેન્સરને હરાવીને જ રહેશે. 'ટ્વિન્સ બાળકો 6 વર્ષના હતા ત્યારે કેન્સરની જાણ થઈ'તેમના નિદાનની વાત કરીએ તો, ત્રણ વર્ષ સુધી તેમણે હોર્મોન થેરાપી લીધી હતી અને 2007માં જોડકા બાળકોને જન્મ આપ્યો હતો. જૂન 2013માં, જ્યારે તેમના બાળકો માત્ર છ વર્ષના હતા, ત્યારે બંને બાળકો એમના હાથ ઉપર ઊંઘતા હતા આને એમને દુખાવો થયો એટલે લાગ્યું કે બાળકોના સુવા થી હશે. પરંતુ જ્યારે તકલીફ વધી, ત્યારે તેમણે ડૉક્ટરની સલાહ લીધી. ISROના ઇન-હાઉસ ડૉક્ટરોએ મેમોગ્રાફી અને સોનોગ્રાફી કરાવવાની સલાહ આપી, ત્યારબાદ અમદાવાદની હોસ્પિટલમાં તપાસ દરમિયાન બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું. આ સમાચાર તેમના માટે આઘાતજનક હતા, પરંતુ તેમણે મક્કમ સંકલ્પ કર્યો કે, મારે મારા બાળકો માટે જીવવું છે અને સાજા થવું છે. કેનસરને હરાવ્યા બાદ રિંકુ અગ્રવાલ ફરી એક વખત પોતાના કામમાં સંપૂર્ણ રીતે જોડાઈ ગયા. તેમણે ચંદ્રયાન-3 મિશન ઉપરાંત અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ અને NISAR જેવા અત્યંત મહત્વપૂર્ણ મિશનોના હાર્ડવેર વિભાગ પર કામ કર્યું. આજે તેઓ માત્ર વૈજ્ઞાનિક જ નહીં, પરંતુ TEDx સ્પીકર અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ માટેના સક્રિય હિમાયતી પણ છે. લોકોએ સાવચેત રહી રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ- તબીબરિંકુ અગ્રવાલની સારવાર કરનાર અપોલ હોસ્પિટલના ડોક્ટર ડૉ. અનઘા ઝોપે, લીડ કન્સલ્ટન્ટ, સ્તન તથા ઑન્કોપ્લાસ્ટિક સર્જને પણ જણાવ્યું હતું કે, દેશમાં વર્ષ 2024 માં લગભગ 2,43,905 નવા કેસ કેન્સરના નોંધાયા હતા. જેમાંથી લગભગ 1,02,377 લોકોના મોત થયા હતા. (2025 ના આંકડા હજી આવેલ નથી) ડૉ. અનઘા ઝોપે વધુમાં જણાવ્યું હતું કે, સૌથી વધુ કેન્સર બ્રેસ્ટ કેન્સર હોય છે તેથી કેન્સરનું સૌથી વધુ પ્રમાણ મહિલાઓમાં જોવા મળતું હોય છે. બ્રેસ્ટ કેન્સરમાં દુખાવો ન થતો હોવાથી કોઈ તેને તપાસ કરાવવા માટે જતું નથી. અને જ્યારે જાય ત્યારે તેનું સ્ટેજ વધી ગયું હોવાથી અઘરું પડી જતું હોય છે. દરેક કેન્સરમાં તેની સારવાર થયા બાદ પણ તેને ફરીથી કેન્સર થવાની શક્યતા વધુ હોય છે એટલે લોકોએ સાવચેત રહીને રેગ્યુલર ચેક અપ કરાવવું જ જોઈએ.
વલસાડ અતુલ કોલોનીમાં લૂંટ:સિક્યુરિટી ઓફિસર પર હુમલો કરાયો, LCBએ બે આરોપીઓને ઝડપી પાડ્યા, ત્રીજો ફરાર
વલસાડના અતુલ લિમિટેડ કંપનીની રિવર સાઈડ-1 કોલોનીમાં 30 જાન્યુઆરીની મધ્યરાત્રિએ લૂંટનો બનાવ બન્યો હતો. બંધ મકાનને નિશાન બનાવી લૂંટ ચલાવી ભાગી રહેલા ત્રણ લૂંટારુઓને પકડવા જતા કંપનીના સિક્યુરિટી વિભાગના સિનિયર એક્ઝિક્યુટિવ અમિતકુમાર પાંડે પર લાકડાના ફટકા વડે ગંભીર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં તેમને માથામાં ગંભીર ઇજા અને હાથમાં ફ્રેક્ચર થયું હતું. વલસાડ LCB પોલીસે ઝડપી કાર્યવાહી કરી બે આરોપીઓની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, 30 જાન્યુઆરીની રાત્રે અમિતકુમાર પાંડે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન રિવર સાઈડ-1 કોલોનીમાં રહેતા નિવૃત્ત કર્મચારી ત્રિલોક કુમાર કસવાલાના બંધ મકાનનું તાળું તોડી ત્રણ અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. લૂંટારુઓએ ઘરમાંથી ₹15,000 રોકડા અને આશરે 7 ગ્રામ વજનનું ₹33,500 કિંમતનું સોનાનું મંગળસૂત્ર મળી કુલ ₹39,000ની લૂંટ ચલાવી હતી. સિક્યુરિટી ટીમને જાળી કાપવાનો અવાજ સંભળાતા અમિતકુમાર અને અન્ય ગાર્ડ્સે લૂંટારુઓનો પીછો કર્યો. નદી કિનારે ઝાડીઓ પાસે એક લૂંટારુને પકડવાના પ્રયાસ દરમિયાન બીજા લૂંટારુએ પાછળથી આવી લાકડાના દંડાથી અમિતકુમારના માથા પર ફટકો માર્યો. આ હુમલામાં તેમને માથામાં ગંભીર ઇજા અને ડાબા હાથની હથેળીમાં ફ્રેક્ચર થયું. અન્ય ગાર્ડ્સને પણ ઇજાઓ પહોંચાડી આરોપીઓ અંધારાનો લાભ લઈ ફેન્સિંગ કૂદી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે વલસાડ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ LCB ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી બે આરોપીઓને ઝડપી પાડ્યા. ધરપકડ થયેલા આરોપીઓમાં કૃષ્ણદેવ ઉર્ફે કિશન પ્રકાશ મૌર્ય (રહે. થાણે, મૂળ ઉત્તર પ્રદેશ) અને કમલેશ ઉર્ફે કમલા ફોજદાર ચૌહાણ (રહે. મુંબઈ, મૂળ ઉત્તર પ્રદેશ)નો સમાવેશ થાય છે. બંને આરોપીઓને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ લૂંટાયેલો મુદ્દામાલ રિકવર કરવા તેમજ ત્રીજા ફરાર આરોપીની શોધખોળ માટે આગળની તપાસ ચલાવી રહી છે.
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે નારાજગી: ખેડૂતોએ કહ્યું- 'સરકારે ટ્રમ્પ સામે ઘૂંટણ ટેકવી દીધા'
India-US Trade Deal Controversy: ભારત અને અમેરિકા વચ્ચે થયેલા ઐતિહાસિક વેપાર સમજૂતી (Trade Deal) બાદ દેશમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી આ જાહેરાતને સરકાર અર્થતંત્ર માટે 'ગેમ-ચેન્જર' ગણાવી રહી છે, ત્યારે બીજી તરફ ખેડૂત સંગઠનોએ તેને ખેતી અને ડેરી સેક્ટર માટે વિનાશક ગણાવી વિરોધ પ્રદર્શિત કર્યો છે. ખેડૂત સંગઠનોનો આક્ષેપ: 'અમેરિકન સામ્રાજ્યવાદ સામે ઝૂકી સરકાર' 2020-21ના ખેડૂત આંદોલનનું નેતૃત્વ કરનારા સંયુક્ત કિસાન મોરચા (SKM) એ આ સોદાની આકરી ટીકા કરી છે. સંગઠનનો દાવો છે કે અમેરિકન વસ્તુઓ પર ઝીરો ટકા આયાત ડ્યુટીની મંજૂરી આપીને સરકારે સ્થાનિક ખેડૂતોના હિતોને જોખમમાં મૂક્યા છે.
વલસાડ જિલ્લામાં મતદાર યાદી સુધારણા અને ફોર્મ નંબર-7 (મતદારનું નામ કાઢી નાખવા અંગેની અરજી) ને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. વાંસદાના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલે વલસાડ કલેક્ટર કચેરી બહાર મીડિયા સાથે વાત કરતા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે લોકોના મતાધિકાર છીનવી લેવાનું સુનિયોજિત કાવતરું રચાઈ રહ્યું છે. ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, ગઈકાલે વાંસદામાં મુસ્લિમ સમાજના અંદાજે 500 થી 600 આગેવાનો આવેદનપત્ર આપવા ગયા હતા, પરંતુ ત્યાંના પ્રાંત અધિકારીએ આવેદનપત્ર લેવાની પણ ના પાડી દીધી હતી. તેમણે આ વહીવટને સદંતર આપખુદશાહી ગણાવ્યો હતો. પટેલે વધુમાં આક્ષેપ કર્યો કે, ભાજપ દ્વારા લોકોના મત ચોરવાનું અથવા તેમને મતદાનના અધિકારથી વંચિત રાખવાનું કાવતરું ચાલી રહ્યું છે. બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં 18 વર્ષની ઉંમરના દરેક નાગરિકને મતાધિકાર આપ્યો છે, તેમ છતાં જન્મનો દાખલો કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ હોવા છતાં અન્ય બિનજરૂરી દસ્તાવેજો માંગીને લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. તેમણે પારદર્શિતાના અભાવ અંગે પણ સવાલ ઉઠાવ્યો હતો. અનંત પટેલે કહ્યું કે, ફોર્મ નંબર-7 હેઠળ કોણે વાંધા અરજીઓ કરી છે, તેનું લિસ્ટ આપવામાં પણ તંત્ર ગભરાઈ રહ્યું છે. આ મામલે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હિમાંશુ સોલંકીએ વહીવટી તંત્રનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે વલસાડ જિલ્લામાં ફોર્મ નંબર-7 ની પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક રીતે ચાલી રહી છે. તંત્ર દ્વારા અપાયેલી વિગતો મુજબ, અત્યાર સુધીમાં 3016 જેટલા ફોર્મનું ડિજિટાઈઝેશન કરવામાં આવ્યું છે. કુલ 2,85,966 નોટિસ જનરેટ કરવામાં આવી હતી, જેમાંથી 2,53,431 નોટિસ મતદારોને પહોંચાડવામાં આવી છે અને તેમની સુનાવણી પણ હાથ ધરવામાં આવી છે. ચૂંટણી અધિકારીએ ખાતરી આપી હતી કે કાયદાકીય જોગવાઈઓ અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી પંચના નિર્દેશ મુજબ 13 પ્રકારના માન્ય પુરાવાઓના આધારે મતદાર યાદીમાં નામ દાખલ કે સુધારાની પ્રક્રિયા થાય છે. કોઈપણ સાચા મતદારનું નામ યાદીમાંથી બાકાત ન રહી જાય તે માટે તંત્ર પ્રતિબદ્ધ છે. અનંત પટેલે ચીમકી ઉચ્ચારી છે કે મુસ્લિમ, આદિવાસી અને અન્ય કચડાયેલા વર્ગના લોકો, જેઓ વર્ષોથી ગુજરાતમાં વસે છે પણ તેમના નામ કાઢી નાખવામાં આવ્યા છે, તેમના ન્યાય માટે આગામી દિવસોમાં કલેક્ટરને રૂબરૂ મળીને આવેદનપત્ર આપવામાં આવશે.
પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરામાં શબ-એ-બરાતના પર્વ નિમિત્તે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ જાળવી રાખવા માટે પોલીસ વિભાગ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા (SP) હરેશ દુધાત અને તેમની ટીમ દ્વારા શહેરના સંવેદનશીલ ગણાતા વિસ્તારો સહિત વિવિધ ભાગોમાં ફૂટ પેટ્રોલિંગ યોજી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. શાંતિપૂર્ણ ઉજવણી માટે પોલીસ સજ્જશબ-એ-બરાત દરમિયાન મુસ્લિમ સમાજના લોકો રાતભર જાગીને ખુદાની ઇબાદત કરતા હોય છે. આ પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે હેતુથી હરેશ દુધાત અને DySP બિંદ્રાબા જાડેજાની આગેવાનીમાં પોલન બજાર જેવા મુખ્ય વિસ્તારોમાં પોલીસ કાફલાએ ચક્રાવાવો લગાવ્યો હતો. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિકોમાં સુરક્ષાનો ભાવ જગાડવાનો અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે જોવાનો હતો. કોમી એકતાનું ઉદાહરણઆ ફૂટ પેટ્રોલિંગની ખાસિયત એ રહી હતી કે તેમાં પોલીસ અધિકારીઓ સાથે મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતા. પોલીસ અને પ્રજા વચ્ચેનો આ સમન્વય ગોધરામાં કોમી એકતા અને પરસ્પર વિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. સ્થાનિકો સાથે સંવાદપેટ્રોલિંગ દરમિયાન પોલીસ અધિકારીઓએ સ્થાનિક રહીશો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. અધિકારીઓએ પર્વની ગરિમા જળવાઈ રહે અને શાંતિ જળવાય તે રીતે ઉજવણી કરવા માટે જરૂરી સૂચનો આપ્યા હતા. પોલીસના આ આયોજનને સ્થાનિકોએ પણ આવકાર્યું હતું.
રાજ્ય સરકારની આજે મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાવાની છે, જેમાં રાજ્યભરના વિકાસ કામોને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને હજુ અધૂરા રહેલા કામો ઝડપથી પૂર્ણ કરવા અને જૂના બજેટમાં મંજૂર થયેલી ગ્રાન્ટના ઉપયોગ અંગે ઊંડાણપૂર્વક સમીક્ષા થશે. બેઠક દરમિયાન અગાઉના બજેટની અમલવારી, વિવિધ વિભાગોમાં ખર્ચની સ્થિતિ તેમજ આગામી નવા બજેટ માટેના પ્રસ્તાવો અંગે વિગતવાર ચર્ચા થવાની છે. આ સંદર્ભે મુખ્યમંત્રી દ્વારા નાણાં વિભાગ સાથે વિશેષ પરામર્શ પણ યોજાશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા વિકાસલક્ષી યોજનાઓને ગતિ આપવા માટે મુખ્યમંત્રી તમામ વિભાગોને સ્પષ્ટ દિશાનિર્દેશ આપશે. પ્રાથમિક સુવિધાઓ જેમ કે રસ્તા, પાણી, વીજળી અને અન્ય આવશ્યક સેવાઓના કામો નક્કી કરેલી સમયમર્યાદામાં પૂર્ણ કરવા પર ખાસ ભાર મુકવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની વર્તમાન સ્થિતિ અંગે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થવાની છે. શાંતિ, સુરક્ષા અને સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં અંગે પણ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.
છેલ્લા 6 મહિનાથી સોના-ચાંદીના ભાવ આસમાને આંબી રહ્યા છે. આ ભાવોને લઈ ઘણાં સમાજે તો સોના-ચાંદી આપવાની મર્યાદા નક્કી કરી લીધી છે. તેમાં પણ જેના ઘરે લગ્ન પ્રસંગ છે તેમના પર આર્થિક બોજ આવી રહ્યો છે. જેને કારણે લગ્ન પ્રસંગમાં સોના-ચાંદી આપવા કે નહીં એવી ચર્ચાઓ ચાલી છે. લગ્નમાં સોના-ચાંદી આપવા જોઈએ કે આ રિવાજ હટાવી દેવો જોઈએ તેને લઈ દિવ્ય ભાસ્કરે અમદાવાદીઓ સાથે વાતચીત કરી હતી. આ મંતવ્યો જાણવા ઉપરની તસવીર પર ક્લિક કરો.
રાજ્યમાં મહાનગર પાલિકાઓનું અને સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી વર્ષ 2026-27નું બજેટ રજૂ થવાનું છે. સૌથી મોટી મહાનગરપાલિકા એવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ આજે 4 ફેબ્રુઆરીના રોજ મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવશે. અંદાજિત 16 હજાર કરોડની આસપાસનું બજેટ રજૂ કરવામાં આવશે. ચૂંટણીના વર્ષનાં બજેટમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરમાં નવા 8 જેટલા બ્રિજ બનાવવામાં આવશે. ખાસ કરીને કોમનવેલ્થ અને ઓલમ્પિકને ધ્યાનમાં રાખીને શહેરમાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા કરવા ઉપર વધુ બજેટ ફાળવવામાં આવશે. ફ્લાય ઓવર અને રેલવે ઓવરબ્રિજની જાહેરાત કરાશેમ્યુનિસિપલ કમિશનર દ્વારા આજે રજૂ કરનારા બજેટમાં શહેરમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવા માટે ફ્લાય ઓવર અને રેલવે ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવશે. ત્રણ જેટલા ફ્લાય ઓવરબ્રિજ અને પાંચ જેટલા રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવશે. અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટીની ઓળખ ધરાવે છે, ત્યારે હેરિટેજ વારસાની જાળવણી કરવાની હોવાથી હેરિટેજ માટે પણ અલગથી બજેટ ફાળવવામાં આવશે જેમાં હેરિટેજ સ્થળોના નવીનીકરણ સાથે અનેક જાહેરાત થઈ શકે છે. શહેરમાં વધતા જતા એર પોલ્યુશનને ધ્યાનમાં રાખીને પણ હવા પ્રદુષણ નિયંત્રિત કરવા પાછળ બજેટમાં જોગવાઈ કરવામાં આવશે. બજેટમાં અનેક મોટી જાહેરાતો થઈ શકેએપ્રિલ 2026માં મહાનગરપાલિકાની ચૂંટણી હોવાના પગલે બજેટમાં કરવેરામાં કોઈ વધારો કરવામાં આવશે નહીં. શહેરીજનો માટે નવા વિસ્તારોમાં બજેટની વધુ ફાળવણી કરવામાં આવશે. નવા વિસ્તારોમાં પાણીની લાઈન, ડ્રેનેજ લાઈનો, વરસાદી પાણીના નિકાલની લાઈન, નવા ગાર્ડન, મીની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નવા રોડ સહિતની સુવિધાઓની ફૂલ ગુલાબી બજેટની જાહેરાત કમિશનર દ્વારા થશે. ચાલુ વર્ષે ચૂંટણી હોવાના કારણે નાગરિકો માટે કમિશનર દ્વારા બજેટમાં અનેક મોટી જાહેરાતો થઈ શકે છે જેમાં એક અઠવાડિયા બાદ ભાજપના સત્તાધીશો ચૂંટણીને ધ્યાનમાં રાખી પોતાની નવી સુવિધાઓના ઉમેરા સાથે બજેટને મંજૂરી આપશે.
ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલાં ભાગમાં ગઈકાલે વાંચ્યું કે રાજકોટના રૈયા ગામ નજીક એક યુવકનું અકસ્માતમાં મૃત્યું થયું હતું. જો કે પોલીસને શંકા હતી કે મૃતકની બાઇકને એક જીપચાલકે જાણી જોઈને ટક્કર મારી હોઈ શકે છે. સાંજ સુધીમાં પોલીસને ખબર પડી કે અન્ય કોઈક પાસેથી જીપ માગીને નાનાભાઈ મુકેશનો અકસ્માત કરીને મોટાભાઈ રાજા ગુમ થઈ ગયો હતો. દીકરાઓના પિતા પણ પોલીસ સામે પૂરી વાત કહી નહોતા રહ્યા. એટલે પોલીસે હવે બીજા સોર્સથી તપાસ શરૂ કરી, આ સાથે જ આરોપી રાજાને શોધવા માટે પણ અલગ-અલગ ટીમો બનાવીને શોધખોળ આદરી. (પહેલો ભાગ વાંચવા માટે અહીં ક્લિક કરો.) હવે આગળનું ઇન્વેસ્ટિગેશન વાંચો…પોલીસ બપોર પછીથી રાજાને શોધી રહી હતી. સગા ભાઈને હત્યાને અકસ્માતમાં ખપાવવાની તેના પર શંકા હતી. ઘટનાસ્થળે જીપ થોડીને તે નાસી છૂટ્યો હતો. એટલે પોલીસે શક્ય હોય એટલા પ્રયાસ કરીને બને એટલી ઝડપે રાજાને શોધી કાઢવા માટેના પ્રયાસ ચાલુ કર્યા હતા. મોડી રાત થઈ ગઈ હતી. પીઆઈ ઝાલા પેટ્રોલીંગ માટે જીપમાં બેસવાની તૈયારીમાં જ હતા ત્યાં જ તેમના મોબાઈલની રિંગ વાગી. ફોન મદદનીશ યોગરાજસિંહનો હતો. કોલ રિસિવ કરતા જ સામેથી યોગરાજસિંહનો ઉત્સાહભર્યો અવાજ સંભળાયો, સાહેબ, માછલી જાળમાં ફસાઈ ગઈ છે. રાજાને અમે ઉઠાવી લીધો છે પીઆઈ તરત પાછા વળ્યા અને જીપમાંથી ઉતરીને પોતાની ચેમ્બરમાં પહોંચ્યા. થોડી જ વારમાં રાજા રોજાસરાને તેમની સમક્ષ રજૂ કરવામાં આવ્યો. આરોપીના ચહેરા પર ગભરાટ હતો. પણ હજુ જાણે તે ઘણું છૂપાવવાના પ્રયાસમાં હોય એમ મૌન સાધીને બેઠો હતો. પોલીસના સવાલના જવાબમા રાજાએ રડમસ અવાજે પોતાની નિર્દોષતા સાબિત કરવાના પ્રયત્નો શરૂ કર્યા. બોલ્યો, સાહેબ મેં કઈ નથી કર્યું. હું તો સવારનો વાડીએ હતો. મારા ભાઈના એક્સિડન્ટની ખબર પડી ત્યારે તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પણ પોલીસ અધિકારીઓને ખબર હતી કે રાજા સફેદ જુઠ બોલી રહ્યો છે. તેની વાતો સાંભળીને પીઆઈ ઝાલા ગુસ્સે થઈ ગયા. તેમણે કડક અવાજે અને રાજાની આંખોમાં આંખ પરોવીને કહ્યું, તું જૂઠું બોલવાનું છોડી દે. એ જીપ તારા પરિચિતની છે અને સવારથી તારી પાસે હતી એના પુરાવા અમારી પાસે છે. હવે બોલ, તે તારા ભાઈને કેમ માર્યો? હવે રાજાને ખ્યાલ આવી ગયો કે પોલીસ ઘણું બધુ જાણે છે. તે થથરી ગયો. થોડીવાર સુધી ચૂપ રહ્યો. પોલીસ તેના હાવભાવ પર બરાબર નજર રાખી રહી હતી. થોડીવાર પછી રાજા બોલ્યો, સાહેબ, હું જીપ લઈને જતો હતો અને અચાનક મુકેશ આડો આવ્યો. એટલે ગાડી એના પર ચડી ગઈ. સાહેબ, હું મારા સગા ભાઈને થોડો મારું?, હું ડરી ગયો હતો એટલે ત્યાંથી નાસી છૂટ્યો. રાજાની જ્યારે ધરપકડ થઈ ત્યારે તેની પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યો હતો. એક તરફ પોલીસ સ્ટેશનમાં રાજાની પૂછપરછ ચાલી રહી હતી, બીજી તરફ હેડ કોન્સ્ટેબલ યોગરાજસિંહ રાજાનો મોબાઈલ ચેક કરી રહ્યા હતા. તેમણે કોલ લોગ્સ જોયા. સવારથી અનેક ફોન થયા હતા. ફોનની ચકાસણી કરતા ખબર પડી કે રાજાના મોબાઇલમાં ઓટો કોલ રેકોર્ડિંગ એપ્લિકેશન છે. યોગરાજસિંહના એકદમ સતર્ક થઈ ગયા. તેમણે એક બાદ એક કોલ રેકોર્ડિંગ સાંભળવાનું શરૂ કર્યું. અકસ્માતના સમયની આસપાસના રેકોર્ડિંગ્સ સાંભળતા જ તેમના ભવાં ઊંચા થઈ ગયા.એક રેકોર્ડિંગમાં રાજાનો હાંફતો અવાજ સંભળાયો. યોગરાજસિંહે તરત જ પીઆઈ ઝાલા પાસે દોડ્યા. બોલ્યા, સાહેબ આ સાંભળો. હવે કોઈ સાક્ષીની જરૂર નથી. પીઆઈ ઝાલાએ હાથમાં ફોન લીધો અને કોલ રેકોર્ડિંગનું પ્લેન બટન ટચ કર્યું. રેકોર્ડિંગમાં રાજા કોઈની સાથે વાત કરી રહ્યો હતો… મેં લઘરાને ઠોકી દીધો છે... પૂરું કરી નાખ્યું એનું કામ. હવે હું શું કરું? ક્યાં જાઉં? રેકોર્ડિંગ પૂરું થતા જ ચેમ્બરમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. પીઆઈ ઝાલાએ રાજાની સામે જોયું અને ફરીથી ફોનનું સ્પીકર ચાલુ કરીને એ જ રેકોર્ડિંગ વગાડ્યું. પોતાનો જ અવાજ સાંભળીને રાજાના હોશ ઉડી ગયા. તેને સમજાયું કે હવે તે ફસાઈ ગયો છે. રાજાએ બે હાથે માથું પકડી લીધું અને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો. હા સાહેબ... મેં જ એને માર્યો છે. મેં જ મુકેશને જીપ નીચે કચડી નાખ્યો છે. રાજાએ ડૂસકા ભરતા કબૂલાત કરી લીધી. હત્યાનો ભેદ તો ઉકેલાઈ ગયો હતો પણ સવાલ હજુ એ જ હતો કે જે ભાઈ સાથે લોહીનો સંબંધ હતો, જેની સાથે એક જ થાળીમાં જમ્યા હતા, સાથે રમતા મોટા થયા એ જ ભાઈનો જીવ લેવા પાછળ રાજાની એવી તો શું મજબૂરી કે નફરત હતી? અડધી રાત્રે પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાજા હવે કોઈ રીઢા ગુનેગારની માફક નહીં પણ પસ્તાવાની આગમાં સળગતા એક લાચાર માણસની જેમ બેઠો હતો. તેને લાગ્યું કે હવે હકીકત છુપાવવાનો કોઈ અર્થ નથી. હૈયાનો ભાર હળવો કરવા તેણે બોલવાનું શરૂ કર્યું. સાહેબ, દુનિયાને એમ લાગે છે કે અમે ભાઈઓ જમીન કે પૈસા માટે લડ્યા હોઈશું, પણ ના... અમારે ભાઈ ભાગ કે મિલકતનો કોઈ જ ડખો નહોતો. અમે તો હળીમળીને રહેતા હતા. પણ મારા નસીબમાં જ કંઈક અલગ રીતે લખાયેલા છે., આટલું બોલીને રાજાએ ઊંડો શ્વાસ લીધો. થોડીવાર પછી તેણે આગળ ઉમેર્યું, મારા લગ્નજીવનમાં ઝેર ઘોળાયું હતું એને હું ચૂપ રહીને સહન કરતો હતો. પણ લઘરાએ... મુકેશે મારી જિંદગીની ખરાબી કરી નાખી. બસ એ જ વાતનું મને માઠું લાગી ગયું અને નહોતું કરવાનું એ હું કરી બેઠો. રાજા ક્યારનોય બોલી રહ્યો હતો. પરંતુ તેણે જે પણ વાત કહી એ પોલીસકર્મીઓના મગજમાં પૂરતી બેસે એવી ન હતી. આરોપીની ગોળગોળ વાતોથી કંટાળેલા પોલીસકર્મીઓની ધીરજ ખૂટી. પીઆઈ ઝાલાએ ટેબલ પર હાથ પછાડ્યો. તેમને આવી અસ્પષ્ટ વાતોમાં રસ નહોતો. એટલે બોલ્યા, રાજા… આ ગોળગોળ વાતો બંધ કર. સીધેસીધું બોલ કે અસલ ડખો શું હતો? લગ્નજીવનમાં એવી તે શું સમસ્યા હતી કે તેં સગા ભાઈનો જીવ લઈ લીધો? રાજાએ માથું નીચું કરી લીધું. કોઈની સાથે આંખ મિલાવવાની હિંમત તેનામાં રહી ન હતી. તેણે ધ્રૂજતા અવાજે અસલ હકીકત જણાવી... સાહેબ, મારી પત્ની વાસંતીને નજીકની વાડીમાં રહેતા એક યુવક સાથે આડાસંબંધો હતા. મને આ વાતની ખબર હતી. હું બધું જાણતો હતો. પણ ઘરની આબરૂ જશે અને સંસાર તૂટી જશે એ બીકે હું આંખ આડા કાન કરતો હતો. હું એને વારંવાર સમજાવતો પણ એ માનતી નહોતી. રાજાએ આગળ કહ્યું, ગામમાં કાનાફૂસી શરૂ થઈ ગઈ હતી. લોકો આંગળી ચીંધતા હતા. મુકેશ મારો નાનો ભાઈ ખરો… અને એના માટે વાસંતી મા સમાન હતી. જ્યારે મુકેશને ખબર પડી કે તેની ભાભી આડા રસ્તે ચડી છે અને મોટો ભાઈ બધું જાણવા છતાં મૌન છે ત્યારે તેને ગુસ્સો આવ્યો હતો. મુકેશ આ સહન કરી શક્યો નહીં. તેને લાગ્યું કે જો અત્યારે કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો આખું ખાનદાન સમાજમાં મોઢું બતાવવા જેવું નહીં રહે. મુકેશે મનોમન નક્કી કરી લીધું કે હવે વડીલોને જાણ કરવી જ પડશે. 23 મે, 2017ના રોજ રાજકોટમાં મુકેશના પરિવારમાં લગ્ન હતા. એટલે ચોટીલાથી પણ ઘણા બધા લોકો આવ્યા હતા. મુકેશના ભાભીના ચરિત્રની વાત વડીલો સુધી પહોંચાડવાની આ તક યોગ્ય લાગી. તેણે નક્કી કર્યું કે આ વાત બીજા કોઈને નહીં તો મારા પિતાને જો કરવી જ છે, જેથી તેઓ પણ મોટા દીકરા અને પુત્રવધૂને ઠપકો આવે અને ઘરની વાત ઘરમાં રહે. કઠણ કાળજું કરીને મુકેશ તેના પિતા મોહનભાઇ પાસે ગયો અને પછી માંડીને બધી વાત કરી દીધી. તે બોલ્યો, બાપુ, ભાભી આડા રસ્તે જઈ રહ્યા છે. ગામમાં વાતો થાય છે. રાજાભાઈ બધું જુએ છે પણ કંઈ કહેતા નથી. તમે કાં તો રાજાને સમજાવો અથવા ભાભીને કંઈક કહો, નહીંતર આપણા માટે ગામમાં રહેવું મુશ્કેલ થઈ પડશે. આપણી આબરૂના લીરેલીરા ઊડી જશે. મુકેશે આ નિર્ણય પરિવારના હિતમાં લીધો હતો પણ એના પડઘાં અપેક્ષા કરતા વિપરિત પડ્યાં. પત્નીનું જે રહસ્ય રાજા દબાવીને બેઠો હતો તેને મુકેશે પિતા સામે ઉઘાડું પાડી દીધું હતું. મુકેશ અને તેના પિતા વચ્ચે થયેલી વાતચીતે જાણે કે ક્યારથીયે શાંત પડેલા જ્વાળામુખીને સળગાવી દીધો હતો. નાના દીકરાની વાત સાંભળીને પિતા મોહનભાઈનું હૈયું દ્રવી ઉઠ્યું. સમાજમાં આબરૂ જશે એ બીકે તેમણે ગુસ્સામાં આવીને મોટા દીકરા રાજાને ફોન જોડ્યો. “રાજા, આ હું શું સાંભળું છું? વહુના ચારિત્ર્ય વિશે જે વાતો સંભળાય છે એમાં શું દમ છે?”, પિતાના સવાલનું શું જવાબ આપવો એ રાજાને સમજાયું નહીં. રાજાના કાનમાં જાણે ગરમ તેલ રેડાયું હોય એવો તેને અનુભવ થયો. એ પણ ગુસ્સામાં આવી ગયો. માંડ ધૈર્ય રાખીને બોલ્યો, બાપુ… તમને આવી વાતો કોણે કરી? કોણ મારા ઘરના નળિયાં વિખે છે? પિતાએ જે બન્યું હતું એ કહી દીધું, મુકેશે મને બધી વાત કરી છે. એ કહેતો હતો કે તું બધું જાણવા છતાં ચૂપ છે. નાના ભાઈનું નામ સાંભળતા જ રાજાનો પીત્તો છટક્યો, રાખું છું અત્યારે, પછી વાત કરીશ. રાજાનો ગુસ્સો હવે જાણે કે સાતમા આસમાને પહોંચી ગયો હતો. ઘણા સમયથી પોતે પત્નીના કૃત્યો પર પડદો પાડવા પાડીને બેઠો હતો. એ પડદો તેના જ સગા ભાઈએ હટાવી દીધો હતો. એટલે રાજા માટે પત્ની પ્રત્યેના ગુસ્સા કરતા ભાઈ પ્રત્યેની નફરત વધી ગઈ. રાજા સીધો મુકેશના ઘરે પહોંચ્યો. ત્યાં મુકેશ અને તેની પત્ની મનુબેન હાજર હતા. રાજાનો ચહેરો ક્રોધથી લાલચોળ હતો. તેણે આક્રમક થઈને ધમકી આપતા કહ્યું, તમે લોકોએ બાપુજીને આવી વાતો કેમ કરી? મારી આબરૂ કાઢી નાખી ને? હવે જોઈ લેજો, હું પણ જોઈ લઈશ કે તમે કેવી રીતે સુખેથી રહો છો. નાના ભાઈ સામે ઉકળાટ ઠાલવ્યા બાદ પણ રાજાની ઊંઘ ઉડી ગઈ હતી. પત્ની વાસંતીને કંઈ કહેવાની તેની હિંમત નહોતી પણ મુકેશને સબક શીખવવાનું ઝનૂન તેના મનમાં સવાર થઈ ગયું હતું. દિવસો વિતતા ગયા. પણ તેના મનમાં ઉભરેલો ગુસ્સો હજુ સુધી શાંત થયો ન હતો. 5 જૂનની એ સવાર પડી. રાજાને ખબર હતી કે મુકેશ દરરોજ બાઈક લઈને વાડીએથી નીકળે છે. સવારના સમયે એ રસ્તો સાવ ભેંકાર ભાંસતો હોય છે, કોઈની અવરજવર હોતી નથી, એટલે “કામ પતાવવા” માટે યોગ્ય સ્થળ લાગ્યું. તેણે તરત જ એક પરિચિત પાસેથી જીપ માગી, બહાનું ધર્યું કે થોડું કામ છે, બહારગામ જવું છે. જીપ લઈને તે ઘરે આવ્યો અને પત્ની વાસંતીને કહ્યું, ચાલ, જીપમાં પાછળ બેસી જા, મારે તને ક્યાંક લઈ જવી છે. વાસંતી જીપમાં બેસી ગઈ. તેને અંદાજ પણ નહોતો કે તેનો પતિ આજે એક ભયાનક પાપ કરવા જઈ રહ્યો છે. રાજાએ જીપ રૈયા ગામ નજીક પરશુરામ મંદિર પાસે સૂમસામ કાચા રસ્તે એક ખૂણામાં ઉભી રાખી. વાસંતીએ પૂછ્યું, અહીં કેમ ઉભા રહ્યા છીએ? અહીં તો કોઈ નથી. રાજાએ સ્ટીયરિંગ પર હાથ ફેરવતા ટૂંકો જવાબ આપ્યો, બસ, થોડું કામ છે. તું બેસી રહે. પોતાના મનમાં ચાલી રહેલા ષડયંત્રનો અણસાર પણ આવવા ન દીધો. કારણ કે તેને ખબર હતી કે જો વાસંતી આ વાત જાણી જશે કે તેના દિયરની હત્યા કરવા જઈ રહ્યો છે તો તે કદાચ રોકી લેશે. રાજાની નજર સામેના વળાંક પર ટકેલી હતી. થોડી જ વારમાં બાઈકનો અવાજ સંભળાયો. રિઅરવ્યૂ મિરરમાં જોયું તો તે મુકેશ જ હતો. રાજા હવે એકદમ તૈયાર હતો. તેણે જીપનું એન્જિન ચાલુ કર્યું, પહેલા ગીયરમાં ગાડી નાખી અને એક્સિલરેટર પર પગ દબાવ્યો. મુકેશ જ્યારે જીપની બાજુમાંથી પસાર થયો ત્યારે તેણે જોયું કે મોટો ભાઈ જીપ લઈને ઉભો છે. પણ તેને એમ કે ભાઈ કોઈ કામથી ઉભા હશે, એટલે કંઈ પણ પૂછ્યા વગર તેણે પાણીના સંપ તરફ બાઈક વાળી દીધું. મુકેશ જેવો કાચા રસ્તે વળ્યો, રાજાની અંદરનો રાક્ષસ જાગી ઉઠ્યો. “આજે તારી જીભ કાયમ માટે શાંત કરી દઈશ., રાજાએ બબડાટ કર્યો અને જીપ ભગાવી. પળવારમાં જ જીપ મુકેશની બાઈકની સાવ નજીક પહોંચી ગઈ અને એક જોરદાર ટક્કર મારી દીધી. મુકેશ અને બાઈક જીપના આગલા ભાગમાં ફસાઈ ગઈ. રાજાએ બ્રેક મારવાને બદલે એક્સિલરેટર પર પગ દબાવી રાખ્યો. લોખંડ અને રોડ વચ્ચેના ઘર્ષણના અવાજમાં મુકેશની મરણચીસો જરાય ન સંભળાઈ. મુકેશ લગભગ 25 ફૂટ સુધી ઢસડાયો. અંતે બાઈકનું પાછલું ટાયર જીપના વ્હીલ નીચે આવી જતાં જીપ અટકી ગઈ. રાજા ઉતાવળે નીચે ઉતર્યો. પાછળ બેઠેલી વાસંતી તો સ્તબ્ધ થઈ ગઈ હતી. તેના મોઢામાંથી શબ્દો નીકળતા નહોતા. રાજાએ તેને હાથ ખેંચીને નીચે ઉતારી અને પછી દોડવા લાગ્યો. પત્નીને ત્યાંથી ઘરે જવા રવાના કરી અને પોતે અલગ દિશામાં ભાગ્યો. નાસી છૂટ્યા પછી રાજાને ગભરામણ થવા લાગી. શું કરવું એ સુઝતું નહોતું. ચોંકાવનારી વાત એ છે કે અંતે તેણે પત્નીના પ્રેમીને ફોન કર્યો. એ જ વ્યક્તિ, જેના કારણે આ આખી માથાકૂટ શરૂ થઈ હતી. મેં કામ પતાવી દીધું છે... જીપ ત્યાં જ મૂકીને નાસી છૂટ્યો છું. હવે હું ક્યાં જાઉં?, રાજા આટલું બોલતા ધ્રુજી ઉઠ્યો હતો. સામે છેડેથી પ્રેમીએ ઠંડા કલેજે સલાહ આપી, પોલીસ સ્ટેશન જતો રહે. હું માણસ મોકલું છું, તું અત્યારે ક્યાં છે? હું ભીખાબાપાની વાડી નજીક છુપાયો છું. મને લેવા બાઈક મોકલો, રાજાએ કરગરતા કહ્યું. તેને ખબર નહોતી કે તેના ફોનમાં ઓટો-રેકોર્ડિંગ એપ્લિકેશન કરતૂતની સાક્ષી બની રહી છે. જો કે રાજા પોલીસ સ્ટેશન ન ગયો અને સાંજ સુધી ભટકતો રહ્યો. પરંતુ કાયદાના લાંબા હાથથી તે બચી શક્યો નહીં. પોલીસે મુકેશના પત્ની મનુબેનની ફરિયાદ નોંધી. સગા જેઠ રાજા સામે હત્યાનો ગુનો દાખલ થયો. તપાસ દરમિયાન પોલીસને રાજાના મોબાઈલમાંથી મળેલી એ ઓડિયો ક્લિપ મજબૂત પુરવો સાબિત થઈ. પોલીસે વોઈસ સ્પેક્ટ્રોગ્રાફીનો રિપોર્ટ કઢાવ્યો અને પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કર્યો. રાજકોટ સેશન્સ કોર્ટમાં આ કેસ દોઢેક વર્ષ ચાલ્યો. ભલે રાજાએ અકસ્માતની ઓથ લઈને બચવાનો પ્રયત્ન કર્યો પણ ફોરેન્સિક પુરાવા તેની વિરુદ્ધમાં હતા. રાજકોટ સેશન્સ કોર્ટે 16 સાક્ષી અને 46 પુરાવા ધ્યાને લીધા અને 23 જુલાઈ, 2024ના રોજ ચુદાકો સંભળાવ્યો. કોર્ટે રાજાને કલમ 302 એટલે કે હત્યાના કેસમાં નહીં પણ કલમ 304 હેઠળ બિનઇરાદે થયેલી હત્યામાં કસુરવાર ઠેરવ્યો. કોર્ટે રાજાને રોજાસરાને 10 વર્ષની સખત કેદ અને 10 હજાર રૂપિયા દંડની સજા ફટકારી.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી સાથે જોડાયેલા રહ્યા. કોર્ટે કહ્યું કે જેમને બેટ પકડતા નથી આવડતું, તેઓ ક્રિકેટ સંઘમાં છે. બીજા મોટા સમાચાર ભારત-US ડીલની અસરના રહ્યા. આના કારણે માર્કેટ વધ્યું અને રૂપિયો મજબૂત થયો. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ભાજપ અધ્યક્ષ નીતિન નબીન તેલંગાણાના મહેબૂબનગરમાં રેલી કરશે. 2. પશ્ચિમ બંગાળમાં SIR અભિયાન વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. કાલના મોટા સમાચારો 1. લોકસભામાં રાહુલની સ્પીચ પર સતત બીજા દિવસે પણ હોબાળો:નરવણે પર આર્ટિકલ દેખાડ્યો, તો સ્પીકરે રોક્યા; પેપર ઉછાળનારા 8 વિપક્ષી સાંસદો સસ્પેન્ડ લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર સતત બીજા દિવસે હંગામો થયો. રાહુલે મંગળવારે બપોરે 2 વાગ્યે પૂર્વ આર્મી ચીફના અપ્રકાશિત પુસ્તકના આર્ટિકલને સદનમાં રજૂ કર્યો અને કહ્યું- મને બોલવા દેવામાં આવે. તેમના આમ કહેતા જ NDAના સાંસદોએ તેમને ટોકવાનું શરૂ કરી દીધું. આજે તેઓ 14 મિનિટ સુધી બોલવાનો પ્રયત્ન કરતા રહ્યા. રાહુલે કહ્યું- 'મને પરવાનગી આપવામાં આવી રહી નથી. મને બોલવા દેવામાં નથી આવી રહ્યો. હું વિરોધ પક્ષનો નેતા છું. મેં રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે. હું બસ જણાવી રહ્યો છું કે ચીન-ભારત વચ્ચે શું થયું. પૂર્વી લદ્દાખમાં આપણા સૈનિકો શહીદ થયા.' વાંચો સંપૂર્ણ સમાચાર 2. અમેરિકી ટ્રેડ ડીલ પર સરકારનું પહેલું નિવેદન: કહ્યું- એન્જિનિયરિંગ, કાપડ અને જ્વેલરી ઉદ્યોગને ફાયદો; ટ્રમ્પનો આભાર, તેમણે દોસ્તીનું માન રાખ્યું અમેરિકા સાથેની ટ્રેડ ડીલ પર ભારત સરકારનું પહેલું નિવેદન આવ્યું છે. મંગળવારે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે મીડિયાને જણાવ્યું કે આ ડીલથી કોઈના હિતો સાથે સમાધાન કરવામાં આવ્યું નથી. બંને દેશો આ ડીલ પર ટૂંક સમયમાં સંયુક્ત નિવેદન બહાર પાડશે. આ એક એવી ડીલ છે, જેના પર દરેક ભારતીયને ગર્વ થશે. તેમણે કહ્યું કે PM મોદીએ હંમેશા કૃષિ અને ડેરી બંને ક્ષેત્રોને ટેકો આપ્યો છે, તેમના હિતોનું રક્ષણ કર્યું છે. જે લોકો અલગ-અલગ ક્ષેત્રોમાં રોકાણ કરવા માગે છે, ખાસ કરીને એવા ક્ષેત્રો જેમાં વધુ મહેનત લાગે છે અને જે લાખો લોકોને રોજગાર આપે છે. બધા આનાથી ઉત્સાહિત છે. ગોયલે કહ્યું કે આ ડીલ કરવા બદલ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર, તેમણે PM મોદીની મિત્રતાનું સન્માન કર્યું. વાંચો સંપૂર્ણ સમાચાર… 3. SCએ કહ્યું- જેમને બેટ પકડતા નથી આવડતું, તેઓ ક્રિકેટ સંઘમાં:રમતની ઓળખ માત્ર ખેલાડીઓથી; મહારાષ્ટ્ર એસોસિએશનની ચૂંટણી પરથી સ્ટે હટાવવાનો ઇનકાર સુપ્રીમ કોર્ટે ક્રિકેટ અને અન્ય રમતગમત સંઘોના સંચાલન પર નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે રમતગમત સંસ્થાઓનું નેતૃત્વ એવા લોકોના હાથમાં હોવું જોઈએ, જેઓ રમતને સમજતા હોય. ક્રિકેટ સંઘોમાં નિવૃત્ત ક્રિકેટરોને સ્થાન મળવું જોઈએ, ન કે એવા લોકોને જેમને બેટ પકડતા પણ નથી આવડતું. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે બોમ્બે હાઈકોર્ટના તે આદેશમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો, જેમાં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (MCA)ની ચૂંટણી પર રોક લગાવવામાં આવી હતી. આ ચૂંટણી 6 જાન્યુઆરીએ યોજાવાની હતી, પરંતુ તેમાં ભાઈ-ભત્રીજાવાદ અને પક્ષપાતના આરોપો લાગ્યા હતા. CJIએ MCAમાં અચાનક સભ્યો વધવા પર સવાલ ઉઠાવ્યો સુનાવણી દરમિયાન CJIએ MCAની સભ્યપદમાં અચાનક થયેલા વધારા પર સવાલ ઉઠાવ્યો. કોર્ટે રેકોર્ડનો હવાલો આપતા કહ્યું કે 1986થી 2023 સુધી એસોસિએશનમાં 164 સભ્યો હતા, પરંતુ ત્યારબાદ અચાનક મોટી સંખ્યામાં નવા સભ્યો ઉમેરવામાં આવ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર… 4. યુમનામ ખેમચંદ સિંહ મણિપુરના 13મા CM બનશે:ભાજપના ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા; રાષ્ટ્રપતિ શાસન 12 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે ભાજપના નેતા યુમનામ ખેમચંદ સિંહ મણિપુરના 13મા મુખ્યમંત્રી હશે. મંગળવારે ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં તેમને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા. હવે રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કરવામાં આવશે. ભાજપના સૂત્રો અનુસાર, કુકી-જો સમુદાયને સંતુષ્ટ કરવા માટે 10 કુકી ધારાસભ્યોમાંથી એકને નાયબ મુખ્યમંત્રીનું પદ આપવામાં આવી શકે છે. આ દરમિયાન મણિપુરના ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવા માટે નિયુક્ત કેન્દ્રીય નિરીક્ષકો તરુણ ચુગ, સંબિત પાત્રા અને મણિપુરના પૂર્વ સીએમ બીરેન સિંહ પણ હાજર રહ્યા હતા. મણિપુરથી NDAના લગભગ 20 ધારાસભ્યો રવિવારે રાત્રે દિલ્હી પહોંચ્યા હતા. જ્યારે અન્ય ધારાસભ્યો સોમવારે કેન્દ્રીય નેતૃત્વના નિર્દેશ પર રાજધાની પહોંચ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 5. સેન્સેક્સમાં 2,073 પોઈન્ટની તેજી, કારણ-ટ્રમ્પે ટેરિફ ઘટાડ્યા:83,739 પર બંધ, નિફ્ટીમાં પણ 639 પોઈન્ટનો ઉછાળો; અદાણીના શેર 11% સુધી વધ્યા 3 ફેબ્રુઆરીના રોજ શેરબજારમાં તેજી રહી. સેન્સેક્સ 2073 પોઈન્ટ (2.54%) વધીને 83,739 પર બંધ થયો. નિફ્ટી પણ 639 પોઈન્ટ (2.55%) વધીને 25,728 પર બંધ થયો. ટ્રમ્પે ભારત પરના ટેરિફ 50% થી ઘટાડીને 18% કર્યા, જેના કારણે બજારમાં તેજી રહી. રિયલ્ટી, મેટલ અને ફાર્માસ્યુટિકલ શેરોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી. નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ 4.79% વધ્યો. સેન્સેક્સના 30 શેરમાંથી 28 શેરમાં તેજી રહી. નિફ્ટીના 50 શેરોમાંથી 46 શેરો વધીને બંધ થયા. બજેટમાં સ્પેશિયલ ટેક્સ (STT) ટેક્સમાં વધારાની જાહેરાત થયા પછી 1 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 1,546 પોઈન્ટ ઘટીને બંધ થયો હતો. 2 ફેબ્રુઆરીએ, સેન્સેક્સ 943 પોઈન્ટ વધીને 81,666 પર બંધ થયો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ચાર મહાનગરોમાં હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે:સુરતમાં સૌથી વધુ 225 AQI નોંધાયો, સવાર અને સાંજના સમયે પ્રદૂષણનું પ્રમાણ વધ્યું રાજ્યના ચાર મોટા શહેરોમાં હવાની ગુણવત્તા ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. તાજેતરમાં નોંધાયેલા એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI)ના આંકડાઓ અનુસાર રાજ્યના મુખ્ય મહાનગરોમાં હવા સ્વચ્છતા માપદંડથી ઘણી નીચે પહોંચી ગઈ છે, અને સવાર અને સાંજના સમયે પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. જે સામાન્ય જનતા માટે ચિંતાજનક સ્થિતિ સર્જે છે. અમદાવાદમાં AQI 186 નોંધાયો છે, જે ‘મધ્યમથી ખરાબ’ શ્રેણીમાં આવે છે. આ સ્તરની હવા લાંબા સમય સુધી શ્વાસમાં લેતાં શ્વાસનળી સંબંધિત તકલીફો, આંખોમાં બળતરા અને એલર્જી જેવી સમસ્યાઓ ઊભી કરી શકે છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને શ્વાસના રોગોથી પીડાતા લોકો માટે આ પરિસ્થિતિ જોખમરૂપ બની શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. યુવકને મોત આપ્યા બાદ પણ છરી-લાતો મારતો રહ્યો, CCTV:રાજકોટમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટમાં ધોળા દિવસે છરીના 7 ઘા ઝીંકી ખૂની ખેલ, હત્યારો બાઇક પર ફરાર રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ વિસ્તારમાં આજે એક લોહિયાળ હત્યાની ઘટના સામે આવી છે. આશરે 40થી 45 વર્ષની ઉંમરના એક યુવાનને છરીના અનેક ઘા ઝીંકીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ લાશ લોહીલુહાણ હાલતમાં જોવા મળી હતી, જેના કારણે આખા વિસ્તારમાં ભય અને આક્રોશનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે, જેમાં અજાણ્યો શખસ યુવકને મારતો નજરે પડે છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : એર ઇન્ડિયા ડ્રીમલાઇનરના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચની તપાસ શરૂ:ગઈકાલે લંડન-બેંગલુરુ વિમાનની સ્વીચ લોક થઈ રહી નહોતી; પ્લેનની ઉડાન પર પ્રતિબંધ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : રશિયાને ટ્રમ્પના દાવા પર વિશ્વાસ નથી:કહ્યું- ભારતે તેલની ખરીદી રોકવા અંગે કંઈ કહ્યું નથી, અમે ટ્રમ્પના નિવેદનનો અર્થ સમજી રહ્યા છીએ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : રાહુલ-પ્રિયંકા ખભે હાથ નાખીને સંસદ પહોંચ્યા:કોંગ્રેસના સાંસદે 'યાર' કહ્યું તો પીઠાધિકારી કૃષ્ણા પ્રસાદ ભડક્યા, વિપક્ષે બે વાર સ્પીકર પર કાગળો ફેંક્યા; મોમેન્ટ્સ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : નોર્વેની ક્રાઉન પ્રિન્સેસે જાતીય અપરાધીને સ્વીટહાર્ટ કહ્યું:એપસ્ટીન ફાઇલોમાં 1000 વખત નામ આવ્યું; દીકરો બળાત્કાર સહિત 38 કેસોમાં આરોપી વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ચાંદી ફરી ચમકી, ત્રણ દી ભાવ ઘટ્યા પછી વધ્યા:કિલોએ 17,000નો વધારા સાથે 2.53 લાખ થયા, 4 લાખે પહોંચ્યા પછી જોરદાર કડાકો બોલ્યો હતો વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : T20 વર્લ્ડકપનો કેપ્ટન્સ ડે બે શહેરોમાં યોજાશે:મુંબઈમાં 12 અને કોલંબોમાં 8 ટીમના કેપ્ટન ભાગ લેશે, ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : હોળી પર દુર્લભ સંયોગ: ભદ્રા અને ચંદ્રગ્રહણ એકસાથે:ગ્રહણના 12 કલાક પહેલા સૂતક કાળ શરૂ; શુભ કાર્યો અને મંદિર દર્શન વર્જિત વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ ગાય ખરીદવા ગયેલા શખ્સના જબરદસ્તી લગ્ન બિહારના ખગડિયામાં યુવકને ગાય ખરીદવાના બહાને બોલાવવામાં આવ્યો. ગામમાં પહોંચતા જ કેટલાક લોકોએ તેને બંધક બનાવી લીધો અને હથિયારના જોરે જબરદસ્તી લગ્ન કરાવી દીધા. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. નાનાભાઈનું અકસ્માતમાં મોત, મોટોભાઈ ગુમ અને ઘેરાતું રહસ્ય: પિતાએ પોલીસને કહ્યું, અંતિમવિધિ પછી બધું કહીશ; જીપના માલિકે પૂછપરછમાં વટાણા વેરી દીધા 2. મોદી જ નહીં, નહેરુના જમાનાથી સેના સાથે વિવાદ ચાલે છે: પૂર્વ એડમિરલે પુસ્તક લખ્યું ને રક્ષામંત્રીએ ખુરસી ગુમાવી; વાંચો નરવણેના પુસ્તક અને સરકાર-સેના વચ્ચેના તણાવના કિસ્સા 3. ‘બજરંગ દળથી પરિવાર ડર્યો, દીકરીની શાળા છૂટી’: મુસ્લિમ દુકાનદારને સપોર્ટ કરનારા ‘મોહમ્મદ દીપક’નું જિમ બંધ, બજરંગ દળે કહ્યું, ટાર્ગેટ પર છો 4. Editor's View: 32 મિનિટમાં જ અમેરિકા ઘૂંટણિયે: મોદી માટેના ટ્રમ્પના શબ્દો સાચા પડ્યા, એક ફોનમાં રાતોરાત ખેલ પડી ગયો, જાણો ટ્રેડ ડીલ અને તમારા નફા-નુકસાનની વાત કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ બુધવારનું રાશિફળ: કર્ક રાશિનો દિવસ આર્થિક દૃષ્ટિએ ભાગ્યશાળી રહેશે, વૃશ્ચિક જાતકોના મિલકત સંબંધિત વિવાદો ઉકેલાશે વાંચો સંપૂર્ણ રાશિફળ
ઉત્તર ગુજરાતના 260થી વધુ સરપંચોની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભા સચિવાલય ખાતે આયોજિત ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમમાં ગ્રામ પંચાયત સ્તરે પારદર્શિતા, ગુણવત્તા અને જવાબદારી સાથે કામ કરવા સરપંચોને આહ્વાન કર્યું હતું. ગ્રામ વિકાસને દેશના વિકાસનો પાયો ગણાવી તેમણે વિકસિત ગ્રામથી વિકસિત ભારતની દિશામાં જોડવા અપીલ કરી હતી. ગાંધીનગર વિધાનસભામાં ગણેશ વાસુદેવ માવળંકર સંસદિય અભ્યાસ અને તાલીમ બ્યૂરોના ઉપક્રમે ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમનો પ્રારંભ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી ના 260થી વધુ સરપંચોએ ભાગ લીધો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે,ગામડાં દેશના વિકાસનો પાયો છે. અને સરપંચોએ સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસના મંત્રથી જનશક્તિને જોડવી જરૂરી છે.તેમણે જાહેરહિતના કામોમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન ચાલે તેમ સ્પષ્ટ કર્યું અને સેચ્યુરેશન એપ્રોચથી 100 ટકા લક્ષ્યાંક સાથે ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ કરવા અપીલ કરી હતી. શંકર ચૌધરીએ ગ્રામસભામાં લોકભાગીદારી વધારવા અને ગ્રામ સચિવાલયના મંત્રને સાકાર કરવા પર ભાર મૂક્યો હતો. સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડોમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરપંચોને ગામડાની વિકાસ યાત્રામાં પારદર્શિતા, ગુણવત્તા અને જવાબદારી સાથે કામ કરવાની અપીલ કરી હતી. તેમણે જાહેરહિતના કામોમાં બાંધછોડ નહીં ચાલે તે નિશ્ચિત કરવા, યુવાનોને જોડવા અને ટેક્નોલોજી દ્વારા સેવાઓ પહોંચાડવા જણાવ્યું હતું.અને સરપંચોને યોજનાઓનો લાભ ગામજનો સુધી પહોંચાડવાની જવાબદારી યાદ અપાવી.
મતદાર યાદી સુધારણા:હાલ ડોક્યુમેન્ટનહીં લેવાય,17 ફેબ્રુઆરીથી ફરી શરૂ
મતદાર યાદી સુધારણા કામગીરી હાલ મામલતદાર કચેરીમાં મતદારો માટે આટોપી લેવાઈ છે.અને સ્થાનિક તંત્ર મતદારયાદી પ્રસિદ્ધ કરવાની કામગીરીમાં લાગ્યું છે. 30 તારીખ બાદ વાંધા સૂચનો અને ડોક્યુમેન્ટ લેવાનું મામલતદાર કચેરી દ્વારા બંધ થયુ છે જે હવે 17 ફેબ્રુઆરીએ નવી મતદાર યાદી જાહેર થયા બાદ ફરી ડોક્યુમેન્ટ લેવાનું શરૂ કરાશે. ચૂંટણી પંચના અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લાના 7 હજાર લોકોને ફરી નોટિસો પાઠવી ચાર ફેબ્રુઆરીએ હાજર રહેવા જણાવ્યું છે. મતદાર યાદી સુધારણા (SIR) પ્રક્રિયા અંતર્ગત જિલ્લામાં ચાલી રહેલી કામગીરી અંતર્ગત 30 તારીખ બાદ મામલતદાર કચેરી દ્વારા વાંધા સૂચનો તેમજ ડોક્યુમેન્ટ સ્વીકારવાની પ્રક્રિયા અસ્થાયી રીતે બંધ કરવામાં આવી છે. હાલ મતદારો તરફથી રજૂ થતા દસ્તાવેજો લેવામાં આવતા નથી, જેને લઈને અનેક લોકોમાં ગૂંચવણ જોવા મળી રહી છે. શહેરના ઢુંઢિયાવાડી વિસ્તારમાંથી આવેલા એક સ્થાનિકે જણાવ્યું કે ડોક્યુમેન્ટ્સ મળતા નહોતા એટલે જમા કરાવવામાં વિલંબ થયો છે. આજે જ્યારે અહીં મામલતદાર કચેરીમાં.. અનુસંધાન પાન-3
ઘોડો ભડકતા વરરાજા નીચે પટકાયા:વરઘોડામાં ફટાકડાના અવાજથી ઘોડો બેકાબૂ બનતાં વરરાજા નીચે પટકાયા
બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં વરઘોડા દરમિયાન ફટાકડાના અવાજથી ઘોડો ભડકતા વરરાજા નીચે પટકાયા હતા. જેમને આંતરડાના ભાગે ગંભીર ઇજા થતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ઓપરેશન કરવાની ફરજ પડી હતી આ ઘટનાને પગલે લગ્ન પણ મોકૂફ રાખવામાં આવ્યા હતા. બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં ધામધૂમથી લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. વરરાજા પરંપરાગત સાફા અને શેરવાની પહેરીને ઘોડે ચડીને જાન લઈને નીકળ્યા હતા. ઢોલ-નગારાના તાલે સંબંધીઓ નાચી રહ્યા હતા અને ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન ફટાકડાના જોરદાર અવાજથી ઘોડો અચાનક ભડક્યો હતો. ઘોડાએ છલાંગ લગાવતા વરરાજા સંતુલન ગુમાવી બેઠા હતા અને સીધા નીચે પટકાયા હતા. વરરાજાને પેટના ભાગે સખત દુખાવો ઉપડ્યો હતો. તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા અનુસાર, પટકાવાને કારણે આંતરડામાં ગંભીર ઈજા થઈ હતી. જેના કારણે આંતરિક રક્તસ્ત્રાવ થવાની ભીતિ હતી. પરિસ્થિતિની ગંભીરતા જોઈને ડોક્ટરોએ તાત્કાલિક ઓપરેશન કરવાનો નિર્ણય લીધો હતો. આ ઘટનાથી જે ઘરમાં ગીતો ગવાતા હતા અને મહેમાનોની ચહેલપહેલ હતી, ત્યાં હવે સન્નાટો વ્યાપી ગયો છે. જાન લઈને નીકળવાની તૈયારીઓ વચ્ચે વરરાજા હોસ્પિટલના બિછાને પહોંચતા પરિવારજનોની આંખોમાં આંસુ આવી ગયા હતા. કન્યા પક્ષે પણ સમાચાર મળતા શોકનું મોજું ફરી વળ્યું હતું. બંને પક્ષોની સહમતીથી હાલ લગ્નની તમામ વિધિઓ અટકાવી દેવામાં આવી છે.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:માલણ દરવાજા વિસ્તારમાં ગેસ ગળતરની ઘટના પછી તંત્રએ ગંભીર નોંધ લીધી નથી
પાલનપુરમાં બે વર્ષ અગાઉ માલણ દરવાજા વિસ્તારમાં આવેલા ભંગારવાડામાં ગેસ કટર માટે ઉપયોગમાં લેવાતા એસિટિલિન ગેસની બોટલ લીકેજ થતાં 100થી વધુ લોકોને અસર થઇ હતી. જે પછી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ત્રણ ભંગારવાડા શહેરથી દૂર ખસેડી દેવાયા હતા. તેમજ અન્ય 10 ભંગારવાડા ખસેડવા માટે આદેશ કરાયો હતો. દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા આ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લેતાં વર્તમાન સમયે માલણ દરવાજા વિસ્તારમાં પોલીટેકનિક કોલેજ સ્ટેન્ડની બાજુમાં, સ્મશાનની સામે, માલણ દરવાજા ચોકડીની સામે, મીરા દરવાજા કબ્રસ્તાનની બાજુમાં, જનતાનગર ચાર રસ્તાની બાજુમાં તેમજ હાઇવે એરોમા ફેકટરી નજીક ગેરકાયદે ભંગારવાડા જોવા મળી રહ્યા છે. જ્યાં પુન: હોનારતથી લોકો મુશ્કેલીમાં મુકાય તે પહેલા ભંગારવાડા દૂર કરવા જોઇએ તેવું શહેરીજનો ઇચ્છી રહ્યા છે. રહેણાંક મકાનોથી 500 મીટર, શહેરથી 1 કિ.મી. દૂર ભંગારવાડો રાખવાનો નિયમ સામાન્ય રીતે ભંગારવાડો રહેણાંક વિસ્તારથી ઓછામાં ઓછું 500 મીટર અને શહેરની મ્યુનિસિપલ હદથી લગભગ 1 કિલોમીટર દૂર હોવો જોઈએ એવી માર્ગદર્શિકા અમલમાં છે. સ્કૂલ, હોસ્પિટલ અને બજાર જેવી સંવેદનશીલ જગ્યાથી પણ યોગ્ય અંતર રાખવું જરૂરી છે. ભંગારવાડામાં ગેસ સિલિન્ડર, ઓઇલ, વાહન કટિંગ કે વેલ્ડિંગ થતું હોય તો દુર્ઘટનાનો ખતરો વધારે રહે છે. આ કારણે મ્યુનિસિપાલિટી અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મંજૂરી પણ ફરજિયાત છે. :> બિપીન ઠાકોર (નિવૃત નાયબ મામલતદાર, પાલનપુર) ભંગારવાડા દૂર થશે: પ્રમુખ પાલનપુર શહેરમાં જે ગેરકાયદે ભંગારવાડા છે તે જમીન સીટી મામલતદાર કચેરી દ્વારા શ્રી સરકાર થયેલી છે. જેથી પાલિકા સીધી કાર્યવાહી કરી શકતી નથી. મામલતદાર અધિકારીના આદેશથી ભંગારવાડા શહેરથી દૂર ખસેડવામાં આવશે. > ચિમનભાઇ સોલંકી ( પ્રમુખ, પાલિકા,)
3 વર્ષમાં બનાસકાંઠા તથા વાવ-થરાદ જિલ્લાઓમાંથી 28,290 કેન્સરના દર્દીઓએ સરકારી આરોગ્ય કાર્ડ હેઠળ સારવાર લીધી હોવાનું સત્તાવાર ક્લેમ ડેટા પરથી સામે આવ્યું છે. આ સારવાર માટે સરકાર દ્વારા પાલનપુર, મહેસાણા અને અમદાવાદની વિવિધ કેન્સર હોસ્પિટલને કુલ 50.66 કરોડ રૂપિયા પણ ચૂકવવામાં આવ્યા છે. પાલનપુર જિલ્લા આરોગ્ય વિભાગના સૂત્રોએ આપેલી વિગતો અનુસાર વર્ષ 2024માં બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના 11,513 દર્દીઓ નોંધાયા હતા. પાલનપુર મહેસાણા અને અમદાવાદમાં સારવાર દરમિયાન 21.36 કરોડ રૂપિયા ચૂકવાયા છે. જ્યારે 2023માં 9,318 દર્દીઓએ કેન્સરની સારવાર લીધી હતી. જે માટે સરકારે ખાનગી હોસ્પિલોને 16.44 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. 2025માં 5,024 કેસ સામે 8.82 કરોડ, જ્યારે છેલ્લા 2 મહિનામાં જ 2,435 દર્દીઓ માટે 4.01 કરોડ રૂપિયા ખર્ચાયા છે. કુલ મળીને ત્રણ વર્ષમાં 28,290 દર્દીઓ કેન્સરના નોંધાયા છે. જેની સામે સરકાર પર 50.66 કરોડ રૂપિયાનો ભાર પડ્યો છે.આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું કે કેટલીક ખાનગી વીમા કંપનીઓ કેન્સર માટે અલગ કાર્ડ કે પોલિસી વેચીને લોકો પાસેથી રકમ વસૂલતી હોવાની હકીકત સામે આવી રહી છે. જ્યારે બીજી તરફ કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આયુષ્માન યોજના હેઠળના કાર્ડમાં જાહેર આરોગ્ય યોજનાઓમાં કેન્સર સહિતની ગંભીર બીમારીઓનો સમાવેશ પહેલેથી જ કરવામાં આવ્યો છે. જાણકારીના અભાવે ઘણા લોકો ખાનગી કંપનીઓના લોભામણા વચનોમાં આવી બેવડો ખર્ચ કરે છે.
વઢવાણની જાણીતી શૈક્ષણિક સંસ્થાઓ આર.જે.દોશી સનરાઈઝ સ્કૂલ અને ગોવિંદસિંહજી રાણા હાઈસ્કૂલ ખાતે તા. 3 ફેબ્રુઆરી-2026ને મંગળવારે માતૃ- પિતૃ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીમાં માતા-પિતા પ્રત્યે આદર અને સંસ્કારોનું સિંચન કરવાનો હતો. યોગ વેદાંત સમિતિના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યોની પ્રતીતિ કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અંદાજે 150 થી 200 જેટલા વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા જ્યારે શાસ્ત્રોક્ત વિધિ અને આદરપૂર્વક માતા-પિતાનું પૂજન કરવામાં આવ્યું હતુ. અને એલકેજીથી ધો. 9 સુધીના 85થી વધુ વિદ્યાર્થીઓએ માતા- પિતાની પરિક્રમ કરી આરતી ઉતારી ત્યારે સમગ્ર વાતાવરણ ભાવુક બની ગયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા બંને શાળાના શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ દ્વારા જેહમત ઉઠાવવામાં આવી હતી. શિસ્તબદ્ધ વ્યવસ્થા અને આધ્યાત્મિક વાતાવરણને કારણે કાર્યક્રમ ખૂબ જ પ્રભાવશાળી રહ્યો હતો. શાળા પરિવારે જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમોથી વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યો દ્રઢ બને છે. યોગ વેદાંત સમિતિના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમને સમગ્ર પંથકમાં બિરદાવવમાં આવ્યો હતો. વાલીઓની આંખમાં હર્ષના આંસુ આવ્યા હાલ મોબાઇલ-ટીવી અને દોડધામ વાળી લોકોની જીંદગી થઇ ગઇ છે. ધંધો-રોજગાર અને જવાબદારી તેમજ સમયના અભાવે માતા-પિતા અને સંતાનો વચ્ચે અંતર વધી ગયુ છે. ત્યારે ઘરમાં બાળકો માટે સમય ફાળવી તેમજ માતૃ-પિતા વંદનાની દૈનિક પ્રક્રિયાથી આ અંતર દૂર થઇ શકે છે. આથી આ શાળામાં જ્યારે સંતાનોના હસ્તે સન્માન મેળવીને અનેક વાલીઓની આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા. માત્ર વાલીઓ જ નહીં, પણ હાજર રહેલા શિક્ષકગણ પણ આ ક્ષણો જોઈને ગદગદિત થઈ ગયા હતા.
ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:હળવદ APMC ચેરમેનના નામે 50થી વધુમતદારોના નામ કમી કરવા ફોર્મ-7 ભરાયું
ૉધ્રાંગધ્રાના નરાળી, નિમકનગરના 50થી વધુ લોકોના નામે ફોર્મ 7 ભરાયા તેઓ આબાબતથી સાવ અજાણ હતા. આ મામલે નરાળી સરપંચે ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશને દાેષિતો સામે કાર્યવાહીની માંગ કરી છે. જેમાં હળવદ ભાજપના કાર્યકર્તા અને એપીએસી ચેરમેનના નામજોગ ફોજદારી ગુનો નોંધવા અરજી આપી છે. આ અંગે નરાળી સરપંચ ત્રીકમભાઇ બળદેવભાઇ મુલાડીયાએ જણાવ્યું હતું કે, હળવદ ભાજપના રજનીભાઈ સંઘાણી અમારા નરાળી અને નિમકનગરના જે મારી સાઇનથી એક પણ ફોર્મ ભરાયું નથી મારી જવાબદારી 64 વિધાનસભાના બીએલએ-1ની છે. દરેક પાર્ટીના બીએલએ-1 હોય મારા હોદ્દા જોગ એમણે આપ્યું હોય હંુ થોડુ જમા કર્યુ હોય મારી સાઇનથી ફોર્મ ભર્યા હોય, મે કોઇના ફોર્મ રદ કરવા અરજી કરી નથી. જે અરજી થઇ તો જવાબદાર હોદા જોગ ફરીયાદ કરી હશે મારી સાઇનથી એકપણ ફોર્મ ભરવામાં આવ્યુ નથી. > રજનીભાઇ સાંઘાણી, ભાજપ કાર્યકર્તા વિપક્ષનો વિરોધ : અઠવાડિયામાં ફોર્મની સંખ્યા 23098 ઘટી 1472 થઇ ગઇજિલ્લામાં તા.23 જાન્યુઆરીની સ્થિતીએ 24570 ફોર્મ 7ની સંખ્યા હતી તે 31 જાન્યુઆરીએ 1472 થઇ ગઇ હતી. આમ અઠવાડિયામાં નામ કમી કરવાની ફોર્મ વિરોધ થતા 23098 ઘટી ગયા હતા. મતદાર યાદી વિશેષ સુધારણા પ્રક્રિયા દરમિયાન BLO દ્વારા ઘેર ઘેર જાતે સ્થળ તપાસ કરી રજૂ કરેલી ડ્રાફ્ટ યાદીમાંથી વાસ્તવિક મતદારોના નામો દૂર કરવા ફોર્મ 7માં હજારોની સંખ્યામાં આશરે 5000થી 10000 એકસાથે ભર્યા છે. આ મામલે દસાડા વિધાન સભા વિસ્તાર ઇઆરઓને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદભાઇ સોલંકી, દસાડા વિધાનસભા બીએલએ વિક્રમભાઇ રબારી સહિત આગેવાનોએ ફરીયાદ નોંધવા માંગ કરી છે.
HCનો સવાલ:નોટિસ વગર કાર્યવાહી કેમ ? ઇન્ચાર્જ મામલતદાર વિરુદ્ધ તપાસની નોટિસ
ચોટીલા યાત્રાધામમાં નવગ્રહ મંદિરના ડિમોલિશનને લઈને શરૂ થયેલો વિવાદ હવે હાઈકોર્ટના ઉંબરે પહોંચ્યો છે. વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આક્રમક દબાણ હટાવવાની ઝુંબેશમાં પક્ષપાત થયો હોવાના ગંભીર આક્ષેપો વચ્ચે હાઈકોર્ટે ચોટીલાના ઇન્ચાર્જ મામલતદારની આકરી ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન જસ્ટિસે તંત્રની કાર્યશૈલી પર લાલ આંખ કરી હતી. અદાલતે પૂછ્યું હતું કે, પૂરતી નોટિસ આપ્યા વગર અને કાયદાકીય જોગવાઈઓનું પાલન કર્યા વિના શ્રદ્ધાના કેન્દ્ર સમાન મંદિર પર ડિમોલિશન કેમ કરવામાં આવ્યું? કોર્ટે આ મામલે અત્યંત કડક વલણ અપનાવી મામલતદારને જણાવ્યું ન્યાયિક પ્રક્રિયા પર પૂરો વિશ્વાસ છેવહીવટી તંત્ર સામે સવાલ કર્યો કે વહીવટી તંત્ર દ્વારા કામગીરીમાં બેધારી નીતિ અપનાવવામાં આવી રહી છે. ન્યાયીક પ્રક્રિયા પર અમને પુરો વિશ્વાસ છે. { મનસુખગિરિ ગોસાઈ, નવગ્રહ પૂજારી પરિવાર 9મી ફેબ્રુઆરીએ સરકારી વકીલ હાઇકોર્ટમાં સોગંદનામુ સબમીટ કરાવશેડિમોલીશન અંગે કરેલ કાર્યવાહીના તમામ ડોક્યુમેન્ટ સરકારી વકીલ મારફત હાઇકોર્ટમાં સબમીટ કરેલા છે. તે નોટીસમાં તારીખ લખવાની ભૂલ મામલતદાર દ્વારા થયેલ ધ્યાને આવતા તે અંગેનું કારકુની ભૂલ અંગેનું એફિડેવિટ સરકારી વકીલ હાઇકોર્ટમાં 9મી ફેબ્રુઆરીએ સોગંદનામુ સબમીટ કરવામાં આવશે. { એચ.ટી.મકવાણા, નાયબ કલેકટર ચોટીલા
હિંસક બનાવ:એક કેદીએ બીજા કેદી પર ધારદાર હથિયારથી કર્યો હુમલો, 6 ટાંકા આવ્યા
સુરેન્દ્રનગર સબજેલની સુરક્ષા વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ઘટના સામે આવી છે. જેલની અંદર બેરક નં-3 માં રહેતા એક કેદીએ બીજા કેદીના ભત્રીજા પાસેથી રૂપિયા 5000ની દાદાગીરીથી માંગણી કરી હિંસક હુમલો કર્યો હતો. આ ઝઘડામાં વચ્ચે પડેલા સંજયભાઈ સીહોરા નામના કેદી પર આરોપીએ ધારદાર વસ્તુ વડે હુમલો કરતા તેમને ગંભીર ઈજા પહોંચી છે. જેલની અંદર ધારદાર હથિયાર ક્યાંથી આવ્યું તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. સીટી એ ડિવિઝન પોલીસ મથકે સુરેન્દ્રનગર સબજેલના કેદી સંજયભાઇ નટવરભાઇ સીહોરાએ નોંધાવી હતી. જે મુજબ અમો હાઇ સુરેન્દ્રનગર સબજેલ બેરેક નંર 3માં કાચાકામના કેદી તરીકે જોરાવરનગર પોલીસ મથકના ગુનાના કામે એક મહિનાથી છું. તા.2-2-2026નારોજ સાંજે સવા ચાર આસપાસ સુરેન્દ્રનગર સબજેલમાં જેલબંધી ખુલ્લી હોવથી માર સગાદાદાનો દીકરો ભાઇ મુનાભાઇ ભુપતભાઇ શીહરા જેલના ગ્રાઉન્ડમાં બેઠા હતા. ત્યારબાદ અમો તથા મુનાભાઇ બેરેક 3માં પહોંચતા મારો ભત્રીજો રોહીત સામેથી મારી તરફ દોડતા આવતો હતો. અમે અજીતને ઝઘડા બાબતે પૂછતા અજીતે આવેશમાં આવીને તેમની પાસે રહેલ કોઇ ધારદાર વસ્તુથી હુમલો કરી ઝપાઝપી કરી બાદમાં મુનાભાઇ દીપકભાઇ તથા રોહીત હાજર હોઇ તેઓએ છોડાવ્યા હતા. જમણા હાથે કાંડા પર વાગ્યુ હોવાથી લોહી નીકળતા તાત્કાલીક જેલ સ્ટાફને જાણ કરી હતી. આથી પોલીસ જપ્તા સાથે સૌપ્રથમ ગાંધી હોસ્પિટલ લઇ જવાયા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ ટીબી હોસ્પિટલ રિફર કરાયા. જ્યાં જમણા કાંડા પર 6 ટાંકા આવ્યા હતા.
ભાસ્કર એક્સપર્ટ:સુરેન્દ્રનગરમાં જાન્યુઆરીમાં પારો 30 ડિગ્રીને પાર ફેબ્રુઆરીમાં પારો 33એ જશે
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસુ માવઠા બાદ લંબય બાદ ઠંડીનો પારો વધ્યો નથી. જાન્યુઆરીમાં ગરમીનું તાપમાન સતત વધ્યું છે. જેના કારણે જાન્યુઆરી મહત્તમ તાપમાન એવરેજ 30 ડિગ્રી ઉપર રહ્યું હતું. આથી 2026નો જાન્યુઆરી મહિનો 10 વર્ષમાં સૌથી વધુ ગરમ માસ બન્યો છે. આ વર્ષ જિલ્લામાં ચોમાસામાં પાછોતરું, ઓક્ટોબર નવેમ્બર માસમાં કમોસમી માવઠુ પડ્યું હતું. ત્યાર બાદ સતત ઠંડીનો પારો વધ્યો નથી. જેના કારણે નવેમ્બર ડિસેમ્બર માસ બાદ જાન્યુઆરી શરૂઆતથી જ તાપમાનનો પારો ઘટવાને બદલે સતત વધી રહ્યો છે. જિલ્લામાં 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન એવરેજ મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહ્યું છે. ત્યારે 10 વર્ષની સાથે જો સરખામણી કરાય તો 2026નો જાન્યુઆરી મહિનો સૌથી ગરમ મહિનો રહેવા પામ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ફેબ્રુઆરી મહિના દરમિયાન જિલ્લાનું તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની આગાહી છે. આ મહિના દરમિયાન શરૂઆતના દિવસોમાં લઘુતમ તાપમાન 17થી 18 ડિગ્રી અને મહત્તમ તાપમાન 31થી 33 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર બન્સથી ભેજ વધ્યું, શુષ્કતા ઘટતા ઠંડી વધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં હાલમાં વાતાવરણના ઉપરના લેવલમાં ટર્ફની ભેજની સિસ્ટમ સક્રિય થઇ છે. જે અરબી સમુદ્ર થઇને ગુજરાત સુધી લંબાય છે. જેથી અરબી સમુદ્ર પરથી ભેજ ખેંચાઇને ગુજરાત તરફ આવતો હોવાથી વાતાવરણમાં ભેજ વધતા વાદળીયું વાતાવરણ સર્જાયું. જેના કારણે વાતાવરણમાં ઠંડીને જરૂરી એવી શુષ્કતા ઓછી થઇ અને ઠંડીનો ચમકારો ઓછો અનુભવાઇ રહ્યો છે. { રમેશભાઇ ગોસાઇ, નિવૃત ડિઝાસ્ટર મામલતદાર
ભાસ્કર વિશેષ:સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, લીંબડીના 160 બાળવિદ્વાને 315 સંસ્કૃત શ્લોક કંઠસ્થ કર્યા
આજના ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અને સોશિયલ મીડિયાના યુગમાં જ્યારે બાળકો પુસ્તકોથી દૂર જઈ રહ્યા છે ત્યારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન ગુરુવર્ય પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સંસ્કૃતિના જતન માટે એક ભગીરથ સંકલ્પ કર્યો હતો. ગત વર્ષે કરેલા સંકલ્પ મુજબ, સંસ્થાના હજારો બાળકોએ માત્ર એક વર્ષમાં કઠિન સંસ્કૃત શ્લોકો મોઢે કરી બતાવ્યા છે. સંસ્થા દ્વારા 3થી 13 વર્ષના બાળકોને ઓનલાઈન ટ્રેનિંગ અને રિવિઝન ક્લાસીસ દ્વારા બાળકોને તૈયાર કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિએ પણ આ સિદ્ધિને વિશ્વમાં અદ્વિતીય ગણાવી છે. મહંત સ્વામી મહારાજ રચિત સત્સંગદીક્ષા ગ્રંથમાં 315 શ્લોકો દ્વારા સદાચાર, વ્યસનમુક્તિ, રાષ્ટ્રીય ભાવના અને આધ્યાત્મિક મૂલ્યોનું વર્ણન કરાયું છે. આ આયોજનમાં નિઃસ્વાર્થભાવે જોડાયેલા સ્વયંસેવકોએ બાળકોને મુખપાઠ કઈ રીતે કરાવવો, રિવિઝન ક્યારે, કેટલું અને કેવી રીતે લેવું તેની વિસ્તૃત તાલીમ આપી હતી. તે માટે ઓનલાઈન મિટિંગો અને ટ્રેનિંગ ક્લાસિસનું આયોજન કર્યું હતું. આ ગ્રંથનો મુખપાઠ કરનારા બાળકો માત્ર શ્લોક જ નહીં, પણ તેના અર્થ અને વર્ગીકરણ પણ મોઢે બોલી શકે છે. આ અભિયાનની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં 3 વર્ષના ભૂલકાઓ પણ જોડાયા હતા. જે બાળકો હજુ લખી કે વાંચી શકતા નથી તેમણે માત્ર સાંભળીને આ શ્લોકો યાદ રાખ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના 160 બાળકે આ કઠિન કસોટી પાર કરી ગુરુહરીના રાજીપાની સાથે ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું સન્માન મેળવ્યું છે. આ સિદ્ધિ પાછળ સંસ્થાના સંતો અને કાર્યકરોની તાલીમ તેમજ વાલીઓની રાત-દિવસની મહેનત રહેલી છે. મુખપાઠ યજ્ઞમાં 3 વર્ષથી 13 વર્ષ સુધીનાં બાળકો, બાલિકાઓ જોડાયાઆ અભિયાનમાં સંસ્થાના સંતો અને કાર્યકરોની ટીમ દ્વારા વાલીઓ અને બાળકો માટે પ્રેરણા સભાઓ યોજાઇ હતી. દર અઠવાડિયે વિવિધ સેન્ટરોમાં યોજાતી બાળ બાલિકા સમા દ્વારા ભારતીય સંસ્કૃતિમાં રહેલ જીવનમૂલ્યો શીખ્યારહ્યા છે. ઉદઘોષ સભાઓ દ્વારા સત્સંગદીક્ષા ગ્રંથને લગતું તમામ સાહિત્ય વિવિધ માધ્યમો દ્વારા બાળકો સુધી પહોંચાડી હતી. આ આયોજનમાં નિઃસ્વાર્થભાવે જોડાયેલા સ્વયંસેવકોને બાળકોને મુખપાઠ કઈ રીતે કરાવવો.રીવીઝન ક્યારે કેટલું અને કેવી રીતે લેવું તેની વિસ્તૃત તાલીમ માટે ઓનલાઈન મિટિંગો, ટ્રેનિંગ કલાસીસનું આયોજન કર્યું હતું. આ મુખપાઠ યજ્ઞમાં 3 વર્ષથી 13 વર્ષ સુધીનાં બાળકો અને બાલિકાઓ જોડાયા હતા. { ધર્મચિંતનસ્વામી કોઠારી સ્વામી, બીએપીએસ મંદિર સુરેન્દ્રનગર
બમણા ભાવથી લોકો ત્રસ્ત:માવઠાની અસર : શાકભાજીની આવક ઓછી અને ભાવ વધુ
પોરબંદરમાં ચોમાસા બાદ કમોસમી વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં માવઠાની અસર જોવા મળી હતી. ખાસ કરીને શાકભાજી પર પણ અસર પડી છે. હાલ શિયાળા દરમ્યાન ટમેટા અને રીંગણ સહિતના શાકભાજીની આવક ઓછી હોવાથી શિયાળા દરમ્યાન ટમેટા અને રીંગણના ભાવ હોવા જોઈએ તેના કરતા બમણા હોવાનું શાકભાજીના વેપારીઓએ જણાવ્યું છે. શાકભાજીના વેપારી મહેશભાઈએ જણાવ્યું હતુ કે, ચોમાસા બાદ દર શિયાળાની ઋતુમાં ટમેટાના ભાવ તળિયે હોય છે. ગત શિયાળા દરમ્યાન રૂ. 5 થી રૂ. 20ના કિલો ટમેટા મળતા હતા અને રીંગણના ભાવ રૂ. 20 થી 40ના કિલો હતા પરંતુ આ શિયાળા દરમ્યાન ટમેટા રૂ. 20 થી રૂ.30ના કિલો મળે છે અને રીંગણ રૂ. 40 થી 60ના કિલો મળે છે. આમ ગત શિયાળા દરમ્યાન ટમેટા અને રીંગણના ભાવ કરતા આ શિયાળે ટમેટા અને રીંગણના ભાવ ડબલ થયા છે જેથી લોકો ત્રસ્ત બન્યા છે. સૂપ અને ઓળાનું બજેટ ખોરવાયુંઉલ્લેખનીય છે કે શિયાળા દરમ્યાન રૂ. 5 થી 20ના કિલો મળતા ટમેટા આ શિયાળામાં રૂ.20 થી 30ના કિલો મળે છે. તે રીતે રીંગણના ભાવ પણ ગત શિયાળા કરતા ડબલ છે જેથી ગૃહિણીઓના બજેટ પર અસર પડી છે. ગ્રાહકોએ જણાવ્યું હતુ કે, ભાવ વધુ હોવાથી શિયાળે ટમેટા સૂપની મજા ફિક્કી પડી છે તો ભાવ બમણા હોવાથી રીંગણના ઓળા બનાવવા પણ મોંઘા થતા બજેટ ખોરવાયું છે.
પોરબંદરની સરકારી હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કિમો થેરાલી સેન્ટર આવેલ છે.આ સેન્ટરમાં કેન્સર નિષ્ણાંત ડોકટર ન હોવાથી કેન્સરનું કિમો થેરાપી સેન્ટર મોટાભાગના દર્દીઓ કામ લાગતું નથી.કેન્સરના દર્દીઓને દર ચાર માસે તબીબોને દેખાડવા બહારગામ જવું પડે છે અને કિમો થેરાપી અહીં લેવા આવું પડે છે જેથી દર્દીઓના છેડા ભેગા થતા નથી તેમજ આયુષ્યમાન કાર્ડ પણ અહીંથી બહારગામ ફેરવવામાં મુશ્કેલી પડે છે. સમગ્ર વિશ્વમાં 4 ફેબ્રુઆરીના દિવસે વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.આ દિવસે અલગ અલગ થીમ પર કેન્સર અંગે જાગૃતતા માટે વિવિધ કાર્યકમોનું આયોજન કરવામાં આવે છે.હાલ સમગ્ર સૌરાષ્ટ્ર સહિત પોરબંદર જિલ્લામાં પણ કેન્સરના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે.પોરબંદર જિલ્લામાં વ્યસનનું પ્રમાણમાં વધારો થયો છે જેથી હાલ આ વ્યસનને લઈને મોઢાનું કેન્સર તેમજ ગળાનું કેન્સરમાં વધારો થયો છે.કેન્સરના ટોટલ દર્દીઓમાંથી 80 ટકા દર્દીઓ આ બંને કેન્સર હોવાનું સામે આવ્યું છે.પોરબંદર જિલ્લામાં મહિલાઓમાં પણ સ્તન કેન્સરનું પ્રમાણ વધ્યું છે જિલ્લામાં મહિલાઓમાં સૌથી વધુ સ્તન કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. પોરબંદરના આરોગ્ય વિભાગ દ્વારા કેન્સરગ્રસ્ત દર્દીઓને તબીબી સહાય યોજના હેઠળ સહાય આપવામાં આવે છે જેમાં કુલ 679 કૅન્સરગ્રસ્ત દર્દીઓ નોંધાયેલ છે.પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં કેન્સરગ્રસ્ત દર્દીઓ માટે તા 11-10-2022માં ડે કેર કિમો થેરાપી સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું.પરંતુ આ સેન્ટરમાં કેન્સર નિષ્ણાંત ડોકટર ન હોવાથી દર્દીઓમાં ભારે મુશ્કેલી વેઠવી પડેછે. કેન્સરના દર્દીઓને કિમો થેરાપી સહિતની સારવાર લખાવવા અને તપાસ કરવા બહારગામ જવું પડે છે અને બાદમાં કિમો થેરાપી લેવા પોરબંદર આવું પડે છે જેથી દર્દીઓના છેડા ભેગા થતા નથી કૅન્સરગ્રસ્ત દર્દીને કેન્સરની તપાસ માટે બહારગામની હોસ્પિટલ ખાતે જાય ત્યારે દર્દીઓને આયુષ્યમાન કાર્ડ પર સારવાર લેવામાં પણ ભારે હાડમારી વેઠવી પડે છે અને કાર્ડ પર સારવાર લેવા તેમજ કાર્ડ હોસ્પિટલમાં ચાલુ બંધ કરાવવા દર્દી અને તેમના પરિવારને કલાકો સુધી લાઇનમાં બેસવાની નોબત આવે છે. ગળા અને મોઢાના કેન્સરમાં 15 ટકા અને સ્તનકેન્સરમાં 10 ટકાનો વધારોપોરબંદર જિલ્લામાં દિન પ્રતિદિન કેન્સરના દર્દીઓ વધી રહ્યા છે.ચાલુ વર્ષમાં જિલ્લામાં પાન, માવા અને ધુમ્રપાનને લીધે ગળા અને મોઢાના કેન્સરમાં 15 ટકા અને મહિલાઓમાં સ્તનકેન્સરમાં 10 ટકાનો વધારો થયો છે. કેન્સરનાં ચેતવણીરૂપ ચિહ્નો(1)આંતરડ અથવા બ્લેકર (મૂત્રાશય)ની કામગીરીમાં ફેરફાર (2) રુઝાતો ન હોય તેવા ઘા (3) અસામાન્ય રકતસ્ત્રાવ (બ્લીડીંગ) અથવા પ્રવાહી નીકળવું. (4)સ્તન અથવા અન્ય જગ્યાએ ચામડીમાં સોજો અથવા (5)અપચો અથવા વસ્તુ ગળે ઉતારવામાં મુશ્કેલી (6)મસા અથવા તલમાં દેખીતો ફેરફાર. સતત ઉધરસ અથવા અવાજમાં ધોધરાપણું સેન્ટરમાં 41 માસમાં 404 દર્દીઓને 816 ડોઝ કિમોથેરાપીના આપ્યાપોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં આવેલ કિમોથેરાપી સેન્ટર ખાતે કેન્સર ગ્રસ્ત દર્દીઓને સારવાર આપવામાં આવે છે.આ સેન્ટરમાં 41 માસમાં 404 કેન્સરગ્રસ્ત દર્દીઓને સારવાર આપવામાં આવી છે.આ સેન્ટરમાં કિમો થેરાપી ઉપરાંત જરૂરી તમામ દવાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
કામગીરી:મનપા કચેરીમાં મહિનાથી બંધ પડેલી જૂના જન્મ મરણના દાખલ કાઢવાની કામગીરી ફરી શરૂ થઈ
પોરબંદર મહાનગરપાલિકા કચેરીમાં આવેલ જન્મ મરણ વિભાગના સર્વરમાં 2015 થી 2025 સુધીના ડેટા સર્વરમાં મર્જ ન થતા જુના જન્મ મરણના દાખલ નીકળતા ન હતા.ત્યારે હવે આ કામગીરી ધીમે ધીમેં શરૂ થઈ છે જેથી અગાઉ આવેલ અરજીઓનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.ત્યારે હજુ પણ 1000 જેટલી અરજીઓ પેન્ડિંગ છે. પોરબંદર સહિત રાજ્યભરમાં તાજેતરમાં જન્મ મરણ દાખલા સહિત કામગીરી માટે સર્વરમાં વર્ષો જુના ડેટા મર્જ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ કામગીરી દરમ્યાન દિવસો સુધી જન્મ મરણના દાખલાના રજિસ્ટ્રેશન સહિતની કામગીરી ઠપ્પ રહી હતી ત્યારે દિવસો સુધી કામગીરી ઠપ્પ રહ્યા બાદ સર્વર કાર્યરત કરવામાં આવ્યું હતું.પરંતુ પોરબંદર મહાનગરપાલિકા સહિત અન્ય શહેરમાં પણ છેલ્લા ઘણા દિવસથી જન્મ મરણના દાખલા માટેનું સર્વરમાં ખામી સર્જતાં વર્ષ 2015 થી વર્ષ 2025 સુધીના વર્ષના જુના દાખલા નીકળતા ન હતા.જેથી પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આ વર્ષના દાખલા માટે અરજીઓ સ્વીકારવામાં આવી રહી હતી.ત્યારે હવે જુના જન્મ મરણના દાખલ કાઢવાની કામગીરી શરૂ થતાં અગાઉ આવેલ અરજીઓની નિકાલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
વાતાવરણ:પોરબંદરમાં મહતમ તાપમાન 2 ડિગ્રી વધીને 33 ડિગ્રીએ પહોંચ્યું
પોરબંદરમાં મહતમ તાપમાન 2 ડિગ્રી વધીને 33 ડિગ્રીએ પહોંચ્યું છે જ્યારે લઘુતમ તાપમાન 16 ડિગ્રી અને ભેજનું પ્રમાણ 15 ટકા ઘટીને 30 ટકા નોંધાયું છે ત્યારે લોકો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે. પોરબંદરમાં બપોરે ગરમીનો અનુભવ થાય છે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ગઈકાલે સોમવારે મહતમ તાપમાન 31 ડિગ્રી નોંધાયું હતું અને લઘુતમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ 45 ટકા નોંધાયું હતું જેની સામે મંગળવારે મહતમ તાપમાન 2 ડિગ્રી વધીને 33 ડિગ્રી નોંધાયું છે અને લઘુતમ તાપમાન 1 ડિગ્રી ઘટીને 16 ડિગ્રી નોંધાયું છે જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 15 ટકા ઘટીને 30 ટકા નોંધાયું છે. તાપમાનમાં વધારો થતા ઠંડીમાં રાહત મળી છે. બપોરે ગરમી અને રાત્રે વાતાવરણમાં ઠંડકનો અનુભવ થતા લોકો મિશ્ર ઋતુનો અહેસાસ કરી રહ્યા છે.
તરૂણીએ જાગૃતિ દાખવી:કુતિયાણા પંથકમાં 181 ટીમે બાળ લગ્ન થતા અટકાવ્યા
કુતિયાણા પંથકમાંથી એક તરૂણીએ જાગૃતતા દાખવી 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર ફોન કરી જાણ કરી હતી કે તેની ઉંમર 18 વર્ષ પૂર્ણ થયેલી નથી, તેમ છતાં તેના માતા–પિતા તેની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરાવી રહ્યા છે. કેસની ગંભીરતા ધ્યાને લઈ 181 ટીમના કાઉન્સેલર મીરા માવદિયા અને કોન્સ્ટેબલ સેજલબેન પંપાળીયા સ્થળ પર પહોંચ્યા હતા. ટીમ દ્વારા તરૂણીનું કાઉન્સેલિંગ કરી લગ્નની કંકોત્રી અને ઉંમર સંબંધિત દસ્તાવેજોની તપાસ દરમિયાન તરૂણીની ઉંમર 18 વર્ષથી ઓછી હોવાનું તથા તેના લગ્ન આગામી તા.10/2/2026ના રોજ નિર્ધારિત કરાયેલા હોવાનું બહાર આવ્યું હતું. આ બાબતે પરિવારજનોને બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ હેઠળ બાળ લગ્ન કરાવવું કાયદેસર ગુનો હોવાનું સમજાવવામાં આવ્યું હતું.અને સમાજ સુરક્ષા અધિકારી, ડીસીપીઓ અને પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી તથા ચાઈલ્ડ હેલ્પલાઈનની ટીમ પણ સ્થળ પર હાજર રહી હતી. તરૂણી ઘરે રહેવા ઇચ્છુક ન હોવાથી તેને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશન ખાતે તરૂણીના વાલીઓના લેખિત નિવેદન લેવામાં આવ્યા હતા.
સારવાર:ખાગેશ્રી ગામની સગર્ભાની હાઇવે પર 108 ટીમે એમ્બ્યુલન્સમાં નોર્મલ ડિલિવરી કરાવી
પોરબંદરના ખાગેશ્રી ગામે રહેતી એક સગર્ભાની ત્રીજી ડિલિવરીની પ્રસૂતિની પીડા ઉપડતા ઉપલેટાની હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ મારફતે રીફર કરી રહ્યા હતા ત્યારે હાઇવે પર એમ્બ્યુલન્સ પહોંચતા સગર્ભાને પ્રસૂતિની પીડા વધી જતાં 108 એમ્બ્યુલન્સ નોર્મલ ડિલિવરી કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો. ખાગેશ્રી ગામના વાડી વિસ્તારમાં રહેતા સગર્ભાને ત્રીજી ડિલિવરી પ્રસુતિની પીડા ઉપડતા 108ને જાણ કરી હતી જેથી 108ની સગર્ભાને ઉપલેટા રીફર કરી રહ્યા હતા તે દરમ્યાન હાઇવે પર સગર્ભાને પ્રસૂતિની પીડા વધી જતાં ઈ.એમ.ટી. યોગેશકુમાર રાઠવા અને પાયલોટ સરમણભાઈ ચાવડાએ હેડ ઓફિસ પર રહેલા ફીઝીશ્યન ડો રીચીના માર્ગદર્શન હેઠળ અને પોતાની આવડત અને મળેલ તાલીમ ની મદદથી અને સમય સુચકતા ધ્યાનમાં રાખી આ સગર્ભાની એમ્બ્યુલન્સમાં નોર્મલ ડીલેવરી કરાવી હતી અને પુત્રીનો જન્મ થયો હતો. એમ્બ્યુલન્સમાં પ્રથામિક સારવાર આપ્યા બાદ સરકારી હોસ્પિટલ ઉપલેટા ખાતે રીફર કરવામાં આવ્યા હતા.
બેઠક:4500 બોટોને દર વર્ષે રૂ.60થી 70 કરોડનું આર્થિક નુકસાન
પોરબંદરના સુભાષનગર સ્થિત હોલ ખાતે પોરબંદર સમસ્ત ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળની અધ્યક્ષતામાં પોરબંદર માછીમાર બોટ એસોસિએશનની એક અગત્યની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ખારવા સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં માછીમારો ઉપસ્થિત રહ્યા હતા. અસ્માવતીઘાટ પાસે આવેલી બોટોના આવન-જાવન માટેની મુખ્ય ચેનલમાં રેતી ભરાવાનો બેઠકનો મુખ્ય મુદ્દો રહ્યો હતો. રેતી ભરાવાના કારણે બોટો 24 કલાક સરળતાથી આવન-જાવન કરી શકતી નથી અને માત્ર હાઈટાઈડના 2 થી 4 કલાક દરમિયાન જ બંદરમાં પ્રવેશ કરી શકે છે. પરિણામે બોટોને પોરબંદર જેટીની સામે ખુલ્લા સમુદ્રમાં એન્કર પોઈન્ટ પર ફરજિયાત ઊભી રાખવી પડે છે. હાઈટાઈડ દરમિયાન એકસાથે બોટો બંદરમાં પ્રવેશ કરતી હોવાથી અંદર ભારે ભરાવો સર્જાય છે, જેના કારણે માછલીઓના વેચાણ ભાવ ઘટે છે. આથી એક બોટ દીઠ વર્ષે અઢીથી ત્રણ લાખ રૂપિયાનું નુકશાન થાય છે. પોરબંદર બંદરમાં અંદાજે 4500 નાની-મોટી બોટો હોવાથી કુલ આર્થિક નુકશાન 60 થી 70 કરોડ રૂપિયાનું થાય છે. આ મુદ્દે અગાઉ અનેક વખત સરકારમાં રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ નક્કર ઉકેલ ન આવતા માછીમારો દ્વારા ફરી એકજૂટ થઈ બેઠક યોજાઈ હતી. બેઠકમાં અસ્માવતીઘાટ પાસેની મુખ્ય ચેનલમાં રેતી દૂર કરી કાયમી ડ્રેજીંગ કરવામાં આવે તેવી ખારવા સમાજના આગેવાનો દ્વારા ઉગ્ર માંગ કરી છે. બંદરમાં અન્ય અસુવિધાઓબેઠકમાં ડ્રેજિંગ ઉપરાંત બંદરની અંદર લાઈટનો અભાવ, શૌચાલય, ફાયર સેફટી, સફાઈ અને પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ હોવાનું જણાવ્યું હતું પોરબંદરના માછીમારોને થતું આર્થિક નુકશાન અટકી શકે અને બંદર પર પૂરતી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે તેવી માંગ ઉઠી છે.
દરોડો:ચીકાસા ગામ ભાદરપૂલ પાસે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા, 4 નાસી ગયા
પોરબંદરના નવીબંદર ચીકાસા ગામ ભાદરપૂલ પાસે બાવળની કાટમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી આધારે એલસીબીએ દરોડો પાડી આ સ્થળેથી જુગાર રમતા 5 શખ્સને ઝડપી લીધા હતા જ્યારે 4 શખ્સ નાશી છૂટ્યા હતા. પોરબંદર એલસીબી ટીમ નવીબંદર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતીકે, નવીબંદર ચીકાસા ગામ ભાદરપૂલ પાસે બાવળની કાટમાં કેટલાક શખ્સ જાહેરમાં જુગાર રમે છે, જેથી એલસીબી ટીમે આ સ્થળે દરોડો પાડી જુગાર રમતા કિરણ બાબુ પરમાર, ઉતમ ઉર્ફે ભોલો રાજેશ માકડીયા, વિપુલ કાંધા વાઢીયા, વિક્રમ લખમણ ભોગેસરા અને હાજા ભુરા ભોગેસરાને ઝડપી લીધા હતા જ્યારે દરોડા દરમ્યાન અરજણ સરમણ ખુંટી, હરસુખ ઉર્ફે અશોક કરશન પંડીત, પ્રવીણ ઉર્ફે સોપારીવાળો જીણા કારગટીયા અને રામદે પરબત ઓડેદરા નાશી છૂટ્યા હતા. પોલીસે દરોડા દરમ્યાન 5 શખ્સને ઝડપી લઇ સ્થળ પરની કુલ રકમ રૂ. 64,800નો મુદ્દામાલ કબ્જે કરી, ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આયોજન:પોરબંદર શહેરના ડેવલપમેન્ટ પ્લાન માટે વિભાગીય પરામર્શ બેઠક યોજાઈ
પોરબંદર મનપાના સભાખંડ ખાતે કમિશનર પ્રજાપતિની અધ્યક્ષતામાં શહેરના ડેવલપમેન્ટ પ્લાન માટે વિભાગીય પરામર્શ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા, રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેરના આયોજનબદ્ધ વિકાસને ધ્યાનમાં રાખી તૈયાર થનારા ડેવલપમેન્ટ પ્લાન લેન્ડ યુઝ માટે વિભાગો વચ્ચે સંકલન સાધવાનો આ બેઠકનો મુખ્ય હેતુ રહ્યો હતો. બેઠક દરમિયાન ટાઉન પ્લાનિંગ વિભાગ તથા સંકળાયેલી એજન્સી દ્વારા ડેવલપમેન્ટ પ્લાનની વ્યાપ્તિ, પ્લાનિંગ એરિયા, કાયદાકીય માળખું તથા આયોજન પ્રક્રિયા અંગે વિગતવાર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. પ્રેઝન્ટેશનમાં શહેરની વર્તમાન વિકાસ સ્થિતિ, ભવિષ્યની જરૂરિયાતો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, માર્ગ વ્યવસ્થા, જાહેર સુવિધાઓ, રહેણાંક અને વ્યાવસાયિક વિસ્તારોના આયોજન પર ભાર મૂકવામાં આવ્યો હતો.સંબંધિત વિભાગોના હાલના, પ્રસ્તાવિત અને મંજૂર પ્રોજેક્ટ્સ, તેમની જમીન જરૂરિયાતો તથા ભવિષ્યની વિકાસ યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, આ તમામ મુદ્દાઓને આવનારા ડેવલપમેન્ટ પ્લાનમાં યોગ્ય રીતે સામેલ કરી શકાય અને અમલીકરણ સમયે કોઈ અડચણ ન ઊભી થાય તેવુ જણાવ્યું હતું. ગુજરાત વોટર સપ્લાય એન્ડ સ્યુએરેજ બોર્ડ, માર્ગ અને મકાન વિભાગ, જી.આઈ.ડી.સી., જી.એસ.આર.ટી.સી., આર.ટી.ઓ., પી.જી.વી.સી.એલ., રેલવે, કોસ્ટ ગાર્ડ, નેશનલ હાઈવે ઓથોરિટી સહિતના અનેક વિભાગોના પ્રતિનિધિઓ બેઠકમાં હાજર રહ્યા હતા. મનપાના અધિકારીઓએ જણાવ્યું હતું કે વિભાગીય પરામર્શથી શહેર માટે સંકલિત અને વ્યવહારુ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં મહત્વપૂર્ણ મદદ મળશે. બેઠકમાં મળેલા સૂચનોના આધારે આગળની આયોજન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ફરિયાદ:પ્રેમ સંબંધના મનદુઃખથી યુવકનીહત્યા, વચ્ચે પડેલા મિત્રને પણ ઇજા
વંથલી રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલી ભલાયશા પીરની દરગાહ પાસે સોમવારની રાત્રે એક યુવકની 4 શખ્સે હત્યા કરતા સનસની મચી ગઈ હતી. વંથલીમાં વાલી ઝાંપા પાસે રહેતા 66 વર્ષીય મુસાભાઈ અબદલભાઈ સોઢાની ફરિયાદ અનુસાર તેના પુત્ર તાજીમ ઉ. વ. 34 અને રફીકશા કાસમશા સર્વદીની દીકરી વચ્ચે પ્રેમ સંબંધ હોવાથી છેલ્લા પાંચ-છ મહિનાથી વિવાદ ચાલતો હતો. સોમવારની રાત્રે જ્યારે તાજીમ તેના મિત્ર સકીલ રજાકભાઈ જેઠવા વગેરે સાથે ભલાયશા પીરની દરગાહ પાસે હતો, ત્યારે રફીકશા કાસમશા સર્વદી, તેનો પુત્ર અરબાજશા, ભત્રીજો અકરમશા હનીફશા અને ઈરફાનશા અમીનશા સર્વદીએ લોખંડના સળિયા, છરી અને લાકડાના ધોકા વડે હુમલો કરી તાજીમના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેના કારણે તેનું કરૂણ મોત નીપજ્યું હતું. વચ્ચે છોડાવવા પડેલા તાજીમના મિત્ર શકીલને પણ હુમલામાં ઈજાઓ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે મૃતકના પિતા મુસાભાઈની ફરિયાદ લઈ જુદી જુદી કલમ મુજબ હત્યા સહિતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વંથલીના તાજીમ મુસાભાઈ સર્વદીની હત્યાના મામલે પીઆઇ આર. બી. ગઢવી, પીએસઆઇ જે.આર. વાજાની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં આરોપી રફીકશા કાસમશા સર્વદી, તેનો પુત્ર અરબાજશા, ભત્રીજો અકરમશા હનીફશાની અગતરાય ગામે મરઘા ઉછેર કેન્દ્ર પાસેથી ધરપકડ કરી ચોથો ફરાર આરોપી ઈરફાનશા અમીનશા બાનવાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.
ભાસ્કર એક્સક્લુઝિવ:શિવરાત્રિનો મીનીકુંભ મેળો: દર વર્ષ કરતા અઢી ગણી વધુ 1340 એલઇડી ફ્લડ લાઇટ લગાવાશે
કુલદિપ માઢક આ વર્ષે શિવરાત્રિનો મેળો મીનીકુંભ તરીકે જાહેર થતા તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જેમાં આ વર્ષે દર વર્ષ કરતા અઢી ગણી વધુ લાઇટો નાખવામાં આવનાર છે. શિવરાત્રિના મેળામાં 1340 એલઇડી ફલડ લાઇટો નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મનપાના ઇલેકટ્રીક શાખાના ઇજનેર હાજાભાઇ ચુડાસમાએ જણાવ્યુ કે, આગામી તારીખ 11 થી 15 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિનો મેળો યોજાનાર છે. આ વર્ષે સરકારે આ મેળાને મીનીકુંભ જાહેર કર્યો હોવાથી વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. જેમાં રવેડી રૂટ પર 350 નંગ, સાધુ-સંતોના ઉતારા- અન્નક્ષેત્ર-સરકારી સ્ટોલ મળી કુલ 450 નંગ, ભરડાવાવ ચોકથી સોનાપુરી, ગીરનાર દરવાજાથી સોનાપુરી, દામોદરકુંડથી જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ, મજેવડી ગેટ, દાતાર રોડ સહિતના મળી આખા શિવરાત્રિના મેળામાં કુલ 1340 એલઇડી ફલડ લાઇટથી ઝળહળી ઉઠનાર છે. ખાસ આ વખતે અઢી ગણી વધુ લાઇટો નાખીને યાત્રિકો મજેવડી ગેટ કે ગિરનાર દરવાજાએ પહોંચતા મેળો શરૂ થયો હોય તેવો માહોલ ઉભો થનાર છે. લાઇવ ટેલીકાસ્ટ આ 20 સ્થળોએએલઇડી સ્ક્રીનમાં થશેભવનાથ મંદિર અંદર બિલ્ડીંગ પર , મંગલનાથ બાપુ જગ્યા પર , મંગલનાથ બાપુની જગ્યા સામે ટોઇલેટની અગાસી પર , દત્તચોક હનુમાન મંદિર એમપી-એમએલએ સ્ટોલ સામે , દત્તચોક પાર્કિંગ બાજુ , રીંગ રોડ ડોમ સામે ટોઇલેટ બિલ્ડીંગની અગાસી પર , રીંગ રોડ શેરનાથ બાપુના આશ્રમ પાસે , રીંગ રોડ ગોવાળીયા ધામ, પાણીના પમ્પીંગ પાસે , રીંગ રોડ ભવનાથ પોલીસ સ્ટેશન , ભવનાથ મેઇન રોડ ઇન્દ્રભારતી બાપુ ગેટ પાસે , લાલ સ્વામીની જગ્યા પાસે , ભારતી આશ્રમ પાસે , જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ બિલ્ડીંગ પર , દામોદરકુંડ મંદિર , સોનાપુરી બિલ્ડીંગ , ભવનાથ મેળાના ટેમ્પરરી એસટી બસસ્ટેન્ડ, ફર્ન હોટલ સામે , ગીરનાર દરવાજા પાસે , ભરડાવાવ ચોક , કાળવા ચોક , સરદારચોક ટાઉન હોલ કેમ્પસ , રેલ્વે સ્ટેશન, સરદાર ગેટ પાસે , એસટી બસસ્ટેન્ડની અંદર , ગાંધી ચોક સર્કલ , સરદાર બાગ ઝાંસીની રાણી સર્કલ
કામગીરી:લાંચીયા મેંદરડા તાલુકા વિકાસ અધિકારીના ઘરે પણ તપાસ
80,000ની લાંચ લેનાર મેંદરડા તાલુકા વિકાસ અધિકારીના ઘરે એસીબીની ટીમે સર્ચ હાથ ધર્યું હતું. મેંદરડા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી તુષાર વિઠ્ઠલભાઈ રાદડિયાને સોમવારે એટીવીટીના કામના વર્ક ઓર્ડર કાઢી આપવા રૂપિયા 1.5 લાખની લાંચ માગી હતી. તાલુકા પંચાયત કચેરી ખાતે સોમવારે જૂનાગઢ એસીબીએ છટકું ગોઠવી જાગૃત નાગરિક પાસેથી તુષાર રાદડિયાને રૂપિયા 80 હજારની લાંચ સ્વીકારતા અને પૈસા ખીસામાં નાખે તે પહેલા ઝડપી લીધા હતા. મંગળવારે એસીબીના તપાસનીશ એસ. એન. ગોહિલે 3 દિવસના રિમાન્ડની માંગણી સાથે આરોપીને કોર્ટમાં રજુ કરતા એડ અદાલતે બુધવાર સાંજના 4 વાગ્યા સુધી 1 રિમાન્ડ મંજૂર કર્યા હતા. જેના પગલે એસીબીની ટીમ આરોપીને લઈ તેના મેંદરડામાં નાઝાપુર રોડ પર બ્રહ્માકુમારીની બાજુમાં આવેલ ટીમ ઘરે પહોંચી સર્ચ હાથ ધર્યું હતું.
વાતાવરણ:શહેરનું તાપમાન 32 ડિગ્રી
જૂનાગઢ સહિત સોરઠમાં સતત બીજા દિવસે ગરમીમાં વધારો થતા બપોરનું તાપમાન વધીને 32 ડિગ્રીએ પહોંચી ગયું હતું. જેના પરિણામે શિયાળાએ વિદાય લેવાનું શરૂ કર્યું હોવાનું અને ઉનાળાની શરૂઆતની અનુભૂતિ લોકોને થઈ હતી. સોમવારે ગિરનાર પર્વત પર લઘુતમ તાપમાન 13.7, શહેરમાં 18.7 ડિગ્રી રહ્યા પછી 24 કલાકમાં મંગળવારની સવારે 2 ડિગ્રી ઘટીને ગિરનાર ખાતે 11.7, જૂનાગઢમાં 16.7 ડિગ્રી નોંધાયું હતુ. જોકે સવારના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને 69 ટકાએ પહોંચી ગયુ હતુ. જ્યારે પવનની પ્રતિ કલાકની ગતિ 6.3 કિલોમીટરની રહી હતી. બીજી તરફ બપોરની શરૂઆત થતાની સાથે મહતમ તાપમાનનો પારો 31.8 ડિગ્રીએ સ્થિર થયો હતો. જેની સાથે સતત બીજા દિવસે બપોરની હવામાં 33 ટકા ભેજ રહ્યો હતો. વાદળછાયું વાતાવરણ વચ્ચે સવારે ગુલાબી ઠંડી અને બપોરે ગરમીના કારણે મિશ્ર હવામાન રહ્યું હતું. દરમ્યાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શિયાળાની વિદાયની શરૂઆત ધીમા પગલે થઈ ચૂકી છે અને આગામી બે દિવસમાં બપોરનું તાપમાન પણ ક્રમશઃ વધતું રહેશે. જેથી ઉનાળાના પગરણ શરૂ થઈ જશે.
તંત્ર હરકતમાં:ભાસ્કરના અહેવાલ પછી મામલતદાર કચેરીના ખૂણે-ખૂણે સફાઇ શરૂ થઇ
શહેરમાં આવેલ તાલુકા સેવા સદન કચેરી ખાતે ખુણે- ખુણે ગંદકી જોવા મળતી હતી. તમામ ખુણા પર કચરાના ઢગલા પડેલા હતા. એક તરફ સરકાર સફાઇ અભિયાનના દાવા કરી રહી હતી પરંતુ જૂનાગઢની મામલતદાર કચેરી ખાતે તે દાવા પોકળ સાબિત થયા હતા. એટલુ જ નહીં જ્યાં અધિકારીઓની ગાડીઓ પડેલી રહેતી હતી તેમજ જ્યાંથી પસાર થતી હતી તે તમામ સ્થળ પર કચરાનો નિકાલ ન થતા ઢગલા પડેલા હતા. આ સમગ્ર બાબતને લઇ ભાસ્કરે સચિત્ર અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યુ હતુ. અને કચેરીના ખુણે-ખુણેથી કચરાનો નિકાલ કરી સફાઇ કરવામાં આવી હતી.
કામગીરી:કોર્ટને ક્યાં સર્વરમાંથી ધમકીનો ઇ-મેઇલ મળ્યો, તે દિશામાં તપાસ
કોર્ટને ક્યાં સર્વરમાંથી ધમકીનો ઇ-મેઇલ મળ્યો તે દિશામાં એ ડિવિઝન પોલીસે એસઓજી, એલસીબી, રેન્જ સાયબર પોલીસની મદદ લઈ તપાસ હાથ ધરી છે. સોમવારે સવારે 6:30 વાગ્યે જૂનાગઢ મુખ્ય ન્યાયાલયના ઓફિસિયલ ઇ-મેઇલ આઇડી પર ખોટા નામવાળા ઇ-મેઇલ આઇડી મારફતે ઇ-મેઇલ કરી બપોરના 2:10 વાગ્યે બધી કોર્ટ, જજ ચેમ્બરમાં 3 બોંબ ફૂટવાના છેં એવો ઇ-મેઇલ કરી કોર્ટની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડી અને લોકોમાં ભયનો માહોલ ફેલાવ્યો હતો. જેની જાણ સવારે 10:30 વાગ્યે થતાની સાથે પોલીસની જુદી જુદી ટીમે કોર્ટ પર પહોંચી આવવા, જવાના રસ્તા બ્લોક કરી કોર્ટમાંથી તમામને સલામત ખસેડી 3 કલાક સર્ચ કર્યું હતું. સદનસીબે કંઇ શંકાસ્પદ મળ્યું ન હતું. આ મામલે જિલ્લા રજીસ્ટ્રાર દેવાંગકુમાર કનુભાઈ દવેની ફરિયાદ લઈ એ ડિવિઝન પોલીસે અજાણ્યા ઇ-મેઇલ ધારક સામે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની ઓલો મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. કેસમાં પ્રો. પીઆઇ વી. જે. સાવજે કોર્ટને કયા સર્વરમાંથી ધમકીનો ઇ-મેઇલ મળ્યો, કોણે મોકલ્યો સહિતના મુદે ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તેમજ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ, રેન્જ સાયબરની ટીમ પણ કામે લાગી છે.
જૂનાગઢના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક પરિવારની 14 વર્ષની દીકરીના લગ્ન તેના પિતા અને દાદી દ્વારા પૈસાની લાલચથી અલગ અલગ જગ્યાએ નક્કી કરી દેવામાં આવ્યા હતા. જોકે, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જૂનાગઢ અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા સમયસર તેના પર રોક લગાવીને પરિવારને સમજાવવામાં આવ્યો હતો. શહેરના એ ડિવિઝન વિસ્તારમાં રહેતા એક પરિવારની 14 વર્ષની કિશોરી કુમારી ટીના (નામ બદલાવેલ છે) દ્વારા રજૂ કરાયેલી અરજીના આધારે બાળલગ્નના ગંભીર મામલે કાયદેસર કાર્યવાહી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ટીના હાલ તેના પિતા અને દાદી સાથે રહે છે, તેણે જણાવ્યું હતું કે, તેમના પિતા નિયમિત દારૂ પીને ઘર તેમજ બહાર તેણીને હેરાન કરે છે. તેમના લગ્ન 16 ફેબ્રુઆરી, 2026ના રોજ નક્કી કરાયાં હતા, જેના આમંત્રણ કાર્ડ પણ છપાઈ ગયા હતા. આ લગ્ન તેમની દાદી દ્વારા, તેમની સંમતિ વિના અને તેમની નાબાલિક વયમાં બળજબરીથી નક્કી કરાયાં હતા. તેણીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તે આ લગ્ન કરવા માંગતી નથી અને લગ્ન પ્રક્રિયામાં આગળ વધવા ઇચ્છુક નથી. પિતા અને દાદી દ્વારા અલગ અલગ જગ્યાએ રૂપિયાની લાલચથી તેના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. આ અંગે ટીનાએ અગાઉ પણ સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે લેખિત અરજી આપી હતી તથા આ મુદ્દો પરા લીગલ વોલન્ટિયરના ધ્યાન પર પણ લાવવામાં આવ્યો હતો. એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પરા લીગલ વોલન્ટિયર કુ. પ્રતીક્ષા રાઠોડ દ્વારા ટીનાના પિતા અને દાદીને સમજાવવામાં આવ્યું હતું કે 18 વર્ષથી નીચેની બાળકીના લગ્ન તેની સંમતિ વિના કરાવવા એ ગુનો છે, જેમાં 2 વર્ષ સુધીની કેદ અને દંડની જોગવાઈ છે. આવા લગ્ન ગોઠવવામાં અથવા કરાવવામાં સામેલ તમામ વ્યક્તિ જવાબદાર બને છે. પિતા અને દાદી દ્વારા વિવિધ સ્થળોએ લગ્ન ગોઠવવાનો પ્રયાસ થતો હોવાથી તેમને એકથી વધુ વખત કાયદાની જોગવાઈઓ અને તેના ગંભીર પરિણામોની સ્પષ્ટ જાણ કરવામાં આવી હતી. પરિણામે ટીના પિતા અને દાદી બાલ્યાવસ્થામાં તેના લગ્ન ન કરાવવા બાબતે સંમત થયા હતા.
વિવાદ:ભવનાથમાં અન્નક્ષેત્રની જગ્યા માટે સાધુઓ વચ્ચે મારામારી
ભવનાથમાં સોમવારે અન્નક્ષેત્રની જગ્યા માટે સાધુઓ વચ્ચે મારામારી થતાં સામસામી ફરિયાદ થઈ હતી. પોલીસે 5 સામે કાર્યવાહી કરી તપાસ શરૂ કરી હતી. ભવનાથમાં બાલક સાહેબની જગ્યા ભારતી આશ્રામની બાજુમાં રહેતા 60 વર્ષીય ગુલાબદાસ વાલદાસ પઢીયાર નામના મેઘવાળ સાધુ સોમવારે પરિવાર સાથે ઘરે હતા. ત્યારે ઘરની બહાર આવેલ ખુલ્લી જગ્યામાં સેવક વિનોદભાઈને અન્નક્ષેત્ર તથા સંતવાણીનો કાર્યક્રમ કરવાનો હોવાથી જગ્યાની સફાઇ કરવા ગયા હતા. તે દરમિયાન 2અજાણ્યા સાધુએ આવી રસ્તો તેમજ જગ્યા બંધ કરી ધુણો શરૂ કરવાનું કરી દીધું હતું જેથી તેઓને ગુલાબદાસે રસ્તો બંધ કરવાની અને પોતાની માલિકીની જગ્યામા આવવાની ના પાડતા બંને સાધુએ ઉશ્કેરાઈ જઇ તેને તથા તેના ભાઈ ભગવાનદાસને ઘરે આવી હાથ મરડી જાપટ મારી હતી. જેથી વૃધ્ધ પોલીસ સ્ટેશન પર ફરીયાદ કરવા જતા હતા ત્યારે રસ્તામાં પણ રોકી માર માર્યો હતો. સામા પક્ષે શ્રીશંભુ પંચ દશનામ જુના અખાડાના 53 વર્ષીય રાજરાજેશ્વરીગીરી ગુરૂ થાનાપતી બુધ્ધગીરી નાગાબાવા અખાડા પાસે પ્રેમગીરી અતિથી ભવનના ગેઇટ સામે આવેલ ઝાડ નીચે છેલ્લા 36 વર્ષથી અન્નક્ષેત્ર ચલાવતા હોય અને તે જગ્યાની બાજુમાં આવેલ આશ્રામવાળા ભાડેથી આ જગ્યા કોઇ બીજાને આપતા હોય જેથી રાજરાજેશ્વરીગીરીએ જગ્યા ભાડે આપવાની ના પાડતા 3 અજાણ્યા શખ્સે ઉશ્કેરાઈ જઈને પછડી દીધા હતા અને અને પથ્થર મારી ઇજા પહોંચાડી હતી. ઘટના અંગે પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ લઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
કાર્યવાહી:મધુરમમાંથી બાઈક ચોરનાર પીધેલી હાલતમાં પકડાયો
શહેરના મધુરમ વિસ્તારમાંથી બાઈક ચોરનાર શખ્સને પીધેલી હાલતમાં નંબર પ્લેટ વગરની બાઈક સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી. મધુરમ વિસ્તારની શ્રીનગર સોસાયટીમાં રહેતા રમેશભાઈ પાલાભાઈ વાળાનું જીજે 11 એલએલ 9716 નંબરનું બાઈક ગત તારીખ 31 જાન્યુઆરીના રોજ રાત્રે 9:30 વાગ્યે શેરીમાંથી ચોરાઈ ગયું હતું. રૂપિયા 15,000ની કિંમતના બાઈકની ચોરીની ફરિયાદ થતા સી ડિવિઝન પોલીસ હરકતમાં આવી હતી. સોમવારે પીઆઇ એ. બી. ગોહિલની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મધુરમ વંથલી રોડ પર આવેલ રામાપીરના મંદિર પાસે એક શખ્સ કેફી પીણું પીધેલી હાલતમાં નંબર પ્લેટ વગરની બાઈક લઈને આવતો જોવા મળ્યો હતો. જેથી તેને રોકી પૂછપરછ કરતા શખ્સ મધુરમ, રામાપીરના મંદિરની સામે બુધવિહારની બાજુમાં આવેલ અવિધિ નગરમાં રહેતો મૂળ ઉપલેટા તાલુકાના નાગવદર ગામનો 32 વર્ષીય શૈલેષ કિશોરભાઈ માકડીયા હોવાનું જણાવ્યું હતું. બાઈકના કાગળો નહિ હોવાનું જણાવી બાઈક શ્રીનગર સોસાયટીમાંથી ચોર્યું હોવાની કબુલાત આપી હતી. શખ્સ વિરૂધ્ધ અગાઉ સી ડિવિઝન તેમજ વંથલી પોલીસ સ્ટેશનમાં દારૂનો ગુનો નોંધાયો હતો.
કરૂણાંતિકા:જામનગરમાં બીડી પીતા દાઝી ગયેલા વૃદ્ધનું મૃત્યુ
જામનગર શહેરમાં પેરાલીસીસની બીમારીથી પીડાતા વૃધ્ધ ખાટલામાં બીડી પીતા હોય અને આગ લાગતા શરીરે દાઝી જતાં વૃધ્ધનું મૃત્યુ નિપજ્યું છે. શહેરના ઈન્દીરા માર્ગ જકાતનાકા આશાપુરા હોટેલની બાજુમાં વિજયનગર શેરીનં-3માં રહેતા પરબતભાઈ રાજાભાઈ ગોજીયા (ઉ.વ.65) નામના વૃધ્ધને પેરાલીસી હોય, જેથી તેમનું અડધુ શરીર કામ કરતુ ન હતું. ગત તા.21 જાન્યુઆરીના રોજ સવારના સમયે તેઓ ખાટલામાં બીડી પીતા હતા. ત્યારે બીડીમાંથી તણખો ખાટલામાં અડી જતાં સળગતા વૃધ્ધ શરીરે દાઝી ગયા હતા. તેઓને ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. બનાવ અંગેની દિનેશભાઈ પરબતભાઈ ગોજીયાએ પોલીસમાં જાહેર કર્યુ છે.
દુર્ઘટના:લગ્નમાંથી ઘરે જતાં અકસ્માતમાં સગીરનું મોત, પિતા-પુત્રને ઈજા
જામનગર-રાજકોટ હાઈવે પર હાપા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને અડફેટે લેતાં સર્જાયેલા અકસ્માતમાં લગ્ન પ્રસંગમાં ગયેલા 13 વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. જ્યારે સાથે રહેલા પિતા-પુત્રને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વસઈમાં રહેતા કારાભાઈ ડાયાભાઈ ટારીયા (ઉ.વ.42) નામના યુવકના 13 વર્ષના પુત્ર મેઘરાજ ઉર્ફે મેઘાભાઈ નામના માતા સાથે જામનગર લગ્નમાં ગયા હતા. ગત તા.2ના મોડી રાતના કારાભાઈના સાળા મુકેશભાઈ સાથે તેમનો દિકરો મેઘરાજ અને મુકેશભાઈનો પુત્ર જીતેશભાઈ મોટર સાયકલ લઈને જામનગરથી હાપા જતા હતાં. હાપા ગામ પાસેપસાર થતા હતા. ત્યારે પુરપાટ આવતા અજાણ્યા વાહન ચાલકે બાઈકને ઠોકર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ત્રણેયને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કારાભાઈના પુત્ર મેઘરાજને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર કારગત નિવડે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે મુકેશભાઈ અને તેમના પુત્ર જીતેશને ઈજા પહોંચતા સારવારમાં દાખલ કરવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં પીએસઆઈ એ.આર. પરમાર સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો અને અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને શોધખોળ આરંભી છે.
વાતાવરણ:લઘુતમ પારો 16.6 ડિગ્રી ટાઢોડામાંથી મુક્તિ મળી
જામનગર શહેરમાં સતત ત્રીજા દિવસે લઘુતમ તાપમાનમાં વધારો થતા 16.6 ડિગ્રી પર સ્થિર થયુ હતુ.જેના કારણે સપ્તાહના પ્રારંભથી તિવ્ર ઠંડીનુ જોર ધીમુ પડયુ છે.જોકે,રાત્રીથી સવાર સુધી ટાઢનો મુકામ બરકરાર રહયો છે. જામનગર શહેરમાં મંગળવારે પણ લઘુતમ તાપમાન આંશિક વધારા સાથે 16.6 ડિગ્રી નોંધાયુ હતુ.છેલ્લા 48 કલાકથી અવિરત પારો ઉંચકાતા તિવ્ર ઠંડીથી જનજીવને આંશિક મુકિત મેળવી હતી.જે સાથે મહતમ પારો પણ 28.5 ડીગ્રી પર સ્થિર થયો હતો.જેના કારણે બપોરે સુર્યનારાયણના આગવા મિજાજનો અહેસાસ જનજીવને કર્યો હતો.જોકે, સુર્યાસ્ત સાથે જ ફરી વાતાવરણમાં ટાઢોડુ પ્રસર્યુ હતુ.ફેબ્રુઆરી માસના પ્રારંભથી જ ઠંડીનુ જોર ક્રમશ: ઘટતા જનજીવને પણ રાહત અનુભવી હતી.ઠંડીની સાથે પવનની ઝડપમાં પણ નોંધપાત્ર્ર ઘટાડો થતા પાંચથી દશ કિ.મી.ની ઝડપ નોંધાઇ હતી.જોકે, હજુ પણ ઠંડીના એક રાઉન્ડની સભાવના જાણકારો દર્શાવી રહયા છે. શહેરમાં સવારે આકાશમાં હળવા વાદળો પણ છવાયેલા રહયા હતા.જોકે,થોડીવારમાં જ વાતાવરણ પુન: સ્વચ્છ જોવા મળ્યુ હતુ.
કાર્યવાહી:મનપા દ્વારા ડી.પી.કપાતમાં 963 દબાણોનું ડિમોલિશન, રૂ.295 કરોડની જગ્યા ખુલ્લી
જામનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025માં ડી.પી. કપાતમાં 963 જેટલા આસામીઓની મિલ્કતોનું ડીમોલીશન કરીને રૂ.295.66 કરોડની કિંમતની જગ્યા ખુલ્લી કરાવવામાં આવી છે. જેમાં 54,790 ચોરસ ફુટ અને શહેરના બચુનગરમાં 7,74,286 સ્કવેર ફુટ જગ્યા ખુલ્લી કરાવવામાં આવી છે. તો રંગમતી રીવરફ્રન્ટમાં ગેરકાયદે કરાયેલા દબાણમાં 294 આસામીઓની મિલ્કતોને નોટીસો આપીને ડીમોલેશન કરવામાં આવ્યું છે. શહેરી વિકાસના કામોમાં ગેરકાયદે થયેલા દબાણો દુર કરવા માટે મ્યુ.તંત્ર દ્વારા વર્ષ 2025માં 295.66 કરોડની બજાર કિંમતની જગ્યાઓ ખુલ્લી કરાવવામાં આવી છે. જેમાં શહેરના સોનાપુરી રોડથી સ્વામીનારાયણ નગરથી ડ્રીમ સીટી થઈ નવાગામ ઘેડમાંથી પસાર થઈ ગાંધીનગર ગ્રોફેડ મીલવાળા રોડને જોડતો 30 મીટર ડી.પી.રોડ (હાલે 12 મીટર અમલીકરણ), જેમાં 331 આસામીઓને કપાતની અસર થયેલ હતી. તેમાં અંદાજીત રૂ.21.87 કરોડની 13,547 ચોરસ મીટર જમીન મહાનગરપાલિકા દ્વારા ખુલ્લી કરાવવામાં આવી હતી. તેમજ શહેરના ડીવાયએસપી બંગલા થઈ મીગ કોલોની સુધીનો 8 મીટર ડી.પી.રોડ મંજુર કરાયો હતો. જેમાં 8 આસામીઓને કપાતની અસર થયેલ અને તેમાં અંદાજીત રૂ.11.97 કરોડની 4,450 ચોરસમીટર જગ્યા મ્યુ.તંત્ર દ્વારા ખુલ્લી કરાવવામાં આવી છે. તેમજ શહેરના જ્ઞાનશક્તિ સર્કલ (ગોકુલનગર જકાતનાકા)થી સમર્પણ સર્કલ સુધીનો 30 મીટર પહોળો ડી.પી.રોડમાં 28 આસામીઓને કપાતની અસર થયેલ હતી. તેમાં અંદાજીત રૂ.8.07 કરોડની 3,750 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. આ ઉપરાંત શહેરના રંગમતી રીવ ફ્રન્ટમાં 294 આસામીઓ દ્વારા દબાણ કરાયેલી 33,043 ચોરસમીટર જગ્યા કે જેની અંદાજીત રૂ.53.35 કરોડ કિંમતની છે. તેમજ બચુનગર તરીકે ઓળખાતી મહાનગર પાલિકાની માલિકાની જગ્યા જેની અંદાજીત કિંમત રૂ.200.50 કરોડ થવા પામે છે તે પણ ખુલ્લી કરાવવામાં આવી હતી. જેમાં 300 આસામીઓએ અંદાજિત 7,74,286 સ્કવેર ફુટ જગ્યા હોવાનું તંત્રએ જાહેર કર્યુ હતું. મ્યુ.તંત્ર દ્વારા 4 ટી.પી. સ્કીમની અમલવારી કરાવવામાં આવીજામનગર મહાનગરપાલિકાએ મુસદારૂપ મંજુર ટી.પી.સ્કીમ નં-11, 20, 21 અને 23માં કુલ 4 ટી.પી. રસ્તાઓ (રાધિકા સ્કુલ રોડથી જામનગર-રાજકોટ બાયપાસને જોડતો તથા ઠેબા ચોકડી નજીકથી ખુલ્લા કરી કબજો મેળવે છે, જેમાં રૂ.2.80 કરોડના ખર્ચે મેટર રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ફરિયાદ:કરિયાણામાં દારૂ અંગેના વીડિયો કેમ ઉતારે છે કહી મહિલાને મારી
બાબરાના કરીયાણામાં દારૂ અંગેના વિડીયો કેમ ઉતારે છે કહી 40 વર્ષિય મહિલાને ચાર લોકોને માર માર્યો હતો. તેમજ અપશબ્દો કહ્યા હતા. આ અંગે બાબરા પોલીસ મથકમાં ચારેય સામે ગુનો નોંધાયો હતો. બાબરાના કરીયાણામાં રહેતા કૈલાસબેન અશોકભાઇ જતાપરા (ઉ.વ.40)એ ગામના જ રવિ લાલજીભાઈ રાઠોડ, ધ્રુવિબેન અશોકભાઇ જતાપરા, સંજય લાલજીભાઇ રાઠોડ, આકાશ મુન્નાભાઇ રાઠોડ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેની દિકરીએ કરીયાણા ગામના રવિ રાઠોડ સાથે મૈત્રી કરાર કર્યા છે. કૈલાસબેનને રવિ રાઠોડે મારા પિતાના દારૂ અંગેના વિડીયો કેમ ઉતારે છે તેમ કહી અપશબ્દો કહ્યા હતા. તેમજ આકાશ રાઠોડે તેને લાકડાના ધોકાનો એક ઘા ઝીંકી દીધો હ તો. આ ઉપરાંત ધ્રુવિબેન જતાપરાએ કૈલાસબેન જતાપરાને અપશબ્દો આપી માર માર્યો હતો. આ ઉપરાંત સંજય રાઠોડે પણ તેને ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા હેડ કોન્સ્ટેબલ વાય.એચ.પરમાર વધુ તપાસ ચલાવી રહ્યા છે.
ખાતમુહૂર્ત:સાવરકુંડલામાં સુકનરા ડેમ ઊંડો ઉતારતા આસપાસના ગામોના ખેડૂતોને ફાયદો થશે
સાવરકુંડલા શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કાયમી જળસંચય અને જળસંકટ નિવારણ માટે સુકનરા ડેમને રૂપિયા 109.62 લાખના ખર્ચે ઊંડો ઉતારવાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ યોજના અંતર્ગત ડેમમાંથી અંદાજે 25 હજાર મેટ્રિક ટન માટી ખોદકામ કરી ડેમને વધુ ઊંડો ઉતારવામાં આવશે. સુકનરા ડેમ સાવરકુંડલા વિસ્તારની જીવનદોરી સમાન છે. ડેમ ઊંડો ઉતારવાના કાર્ય પૂર્ણ થયા બાદ તેની પાણી સંગ્રહ ક્ષમતા નોંધપાત્ર રીતે વધશે. જેના કારણે પાણીનું સ્તર ઉપર આવશે અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈ સુવિધા વધુ મજબૂત બનશે. આ યોજના ખેડૂતો માટે ખેતીમાં સ્થિરતા, ઉત્પાદન વૃદ્ધિ અને આવક વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. સાવરકુંડલામાં સુકનરા ડેમને ભવિષ્યમાં પૂરતું પાણી ઉપલબ્ધ રહે માટે સૌની યોજના અંતર્ગત નર્મદા નદીના પાણીથી ડેમ ભરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ દિશામાં તાજેતરમાં રૂપિયા 14 કરોડના ખર્ચે સૌની યોજના પાઈપલાઈનના કાર્યનો આરંભ થયો છે. જે સુકનરા ડેમ ઊંડો ઉતારવાની યોજના સાથે નાવલી નદીના પુનર્જીવન માટેનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર પ્રયાસો સાવરકુંડલા વિસ્તારના સર્વાંગી વિકાસ, પર્યાવરણ સંરક્ષણ અને જળસંકટ સામે લાંબા ગાળાના ઉકેલ તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
દુર્ઘટના:સાવરકુંડલામાં ખાંભા ટી પોઈન્ટ પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા ભાઈ અને બહેન ઈજાગ્રસ્ત
સાવરકુંડલા મહુવા રોડ પર આવેલા ખાંભા ટી પોઈન્ટ પાસે એક બેફામ બનેલી કારે મોટર સાયકલને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર ભાઈ બહેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જયારે કાર ચાલક અકસ્માત સર્જી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સાવરકુંડલામાં રહેતા અલ્તાફ હુસેનભાઈ ઝાખરા (ઉં.વ 19) પોતાની મોટર સાયકલ નંબર GJ 01 DH 3941 પર પોતાની બહેનને પાછળ બેસાડીને સાવરકુંડલા તરફ આવી રહ્યા હતા. ખાંભા ટી પોઈન્ટ પાસે પહોંચ્યા ત્યારે સાવરકુંડલા તરફથી સામેથી આવતી એક કાર નંબર GJ 14 AP 0505ના ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી મોટર સાયકલને જોરદાર ટક્કર મારી હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે ભાઈ બહેન બંને રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં અલ્તાફભાઈ ઝાખરાનેનાકના ભાગે ફેકચર અને જમણા હાથે ગંભીર ઈજાઓ પહોંચતા પ્લાસ્ટર આવ્યું હતું. જ્યારે તેમની સાથે રહેલા બહેનને પણ શરીરે મૂઢ ઈજાઓ પહોંચી હતી. માનવ જિંદગી જોખમાય તે રીતે બેફામ કાર ચલાવી અકસ્માત સજર્યા બાદ કાર ચાલક પોતાના વાહન સાથે ઘટના સ્થળેથી નાસી છૂટયો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.એલ. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.
અમરેલીમાં પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતેનો ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક 4 ફેબ્રુઆરીથી ટેક્નિકલ કારણોસર બંધ કરવામાં આવ્યો છે. જે આગામી સૂચના સુધી બંધ રહેશે. અમરેલી એઆરટીઓ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે આવેલો ડ્રાઇવિંગ ટેસ્ટનો ટ્રેક 4 ફેબ્રુઆરીથી બંધ કરવામાં આવ્યો છે. ટેસ્ટ ટ્રેક આગામી સૂચના સુધી ટેકનિકલ કારણોસર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવતા ઉમેદવારો અહીં ટેસ્ટ આપી શકશે નહી. અમરેલી એઆરટીઓ કચેરી ખાતે જિલ્લાભરમાંથી અરજદારો ડ્રાઈવિંગ ટેસ્ટ માટે આવતા હોય છે. ત્યારે અહીં આવતા અરજદારોને આગામી સૂચના સુધી ડ્રાઈવિંગ ટેસ્ટ માટે ન આવવા માટે અમરેલી પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ અપીલ કરી હતી.
વિશ્વ આદ્રભૂમિ દિવસ:નર્મદા કેનાલ પાસે 95 પ્રજાતિના 797 પક્ષી નોંધાયાં
કેવડિયા ( એકતાનગર)માં નર્મદા કેનાલ વિસ્તારમાં પક્ષી ગણતરી કરવામાં આવી હતી જેમાં 95 પ્રજાતિના 797 પક્ષીઓ નોંધવામાં આવ્યાં છે. રાજપીપળામાં આવેલી દેશની એક માત્ર બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના 45 વિદ્યાર્થીઓ અને સરદાર ઝુઓલોજી પાર્કના નિષ્ણાંતો તરફથી પક્ષીઓના ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પક્ષીઓની ગણતરીમાં ઇબર્ડ અને મર્લિન એપ્લીકેશનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિશ્વ આદ્રભૂમિ દિવસની ઉજવણીના ભાગરૂપે, સ્ટેચ્યુ ઓફ યુનિટીખાતે વન્ય જીવ સંરક્ષણ અને જાગૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. નર્મદા કેનાલના જલપ્લાવિત વિસ્તારમાં પક્ષીઓની ગણતરી હાથ ધરવામાં આવી હતી. સ્કુલ ઓફ સાયન્સના આચાર્ય ડૉ. દિગ્વિજયસિંહ રાણાના માર્ગદર્શન હેઠળ ઝુઓલોજી વિભાગના 45 વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકો ડૉ. દેવેન્દ્રકુમાર સોલંકી અને ડૉ. પ્રગતિબા ચુડાસમા આ અભિયાનમાં જોડાયા હતા. આ ગણતરીમાં ઝૂલોજીકલ પાર્કની ટીમ અને ઇન્ટર્નશિપ કરી રહેલા વન્યજીવ ઉત્સાહીઓએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ઝૂલોજીકલ પાર્કના એજ્યુકેશન એન્ડ ઓઉટરીચ ઓફિસર ડૉ. શશીકાંત શર્મા અને દર્ષિત શાહની ટીમનેે સમગ્ર કેનાલ વિસ્તારને 6 અલગ-અલગ પોઈન્ટમાં વહેંચવામાં આવ્યા હતા. અનુભવી બર્ડ વોચર્સની કેપ્ટનશીપ હેઠળ વિવિધ ટુકડીઓમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. નિરીક્ષણ દરમિયાન મુખ્યત્વે કાંસ્યપંખ, જલ માંજર, સર્પગ્રીવ, ઢોર બગલા, મોટા-નાના અને વચેટ બગલા, રાખોડી બગલો, વણ બગલો, રાત બગલો, નાનો-મોટો કાજીયો, લટોરો અને ટિટોડી જેવા પક્ષીઓ નોંધાયા હતા. આ ઉપરાંત, શિકારી પક્ષીઓમાં મોટી લરજી, ચોટીલો સાપ માર, મત્સ્યભોજ, શ્વેતનેણ ટીસો અને મધીયો બાજ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.પક્ષીઓની 95 પ્રજાતિઓ અને કુલ 797 પક્ષીઓ નોંધવામાં સફળ રહ્યા હતા. પક્ષીઓને ઓળખવા માટેની રીતોને જાણો પક્ષીનો આકાર અને કદ પક્ષી ગણતરી કરવા શું કરશો
સન્માન સમારોહ:પાટણવાડા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ દ્વારા કન્યાઓને 8.51 લાખના સહાયના ચેકો અપાયા
શિક્ષણ અને સંસ્કારના સમન્વય સાથે પાટણવાડા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ-પાટણ દ્વારા ભાન્ડુ સ્થિત જેઠીબા વાડી ખાતે વાર્ષિક સાધારણ સભા અને તેજસ્વી તારલા સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં વર્ષ 2024-25માં શૈક્ષણિક ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ધોરણ 10 અને 12ના 24 જેટલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ચાંદીના શિલ્ડ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા. પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજની જરૂરિયાતમંદ 84 દીકરીઓને ધોરણ-12 પછીના ઉચ્ચ અભ્યાસ માટે કુલ 8,51 લાખના સહાયચેકનું વિતરણ કરાયું હતું.નોંધનીય છે કે અત્યાર સુધીમાં કુલ 656 દીકરીઓ આ યોજનાનો લાભ લઈ ચુકી છે. પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજ (સંડેર, વાલમ, ભાન્ડુ, મણુંદ અને બાલીસણા)ના આ સંગમમાં શિક્ષણના ઉત્થાન માટે લાખો રૂપિયાની સહાયના ચેકો અર્પણ કરી અનોખો સેવાયજ્ઞ પ્રગટાવ્યો હતો. મંડળના પ્રમુખ અમૃતભાઈ પટેલે જણાવ્યું હતું કે આ મંડળની સ્થાપના આઝાદી પૂર્વે 1932માં કરાઈ હતી. વડીલોએ રોપેલું કેળવણીનું બીજ આજે વટવૃક્ષ બન્યું છે.આ મંડળ આજે પણ વડીલોના એ જ કેળવણીના વિચારને આગળ ધપાવી રહ્યું છે. જેના કારણે આજે આ સમાજ દેશ-વિદેશમાં વ્યવસાય અને શિક્ષણમાં મોખરાનું સ્થાન ધરાવે છે.આ પ્રસંગે ઉદ્યોગપતિ અનિલભાઈ પટેલ (મિડાસ- મેટકોન્સ), પૂર્વ મંત્રી કિરીટભાઈ પટેલ અને ભાન્ડુના સરપંચ રીકેશાબેન પટેલ,મંડળના મંત્રી ભરતભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ભોજન દાતા તરીકે ડાહ્યાભાઈ પટેલ પરિવારે સેવા આપી હતી.
અમદાવાદ શહેરમાં રખડતા ઢોરની સમસ્યાને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઢોર પોલિસી અમલમાં મૂકવામાં આવી છે. શહેરમાં મહત્વના જાહેર સ્થળો જ્યાં ભારે અવરજવર રહેતી હોય એવા વિસ્તારોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNDC વિભાગ અને શહેર પોલીસ દ્વારા ‘નો કેટલ ઝોન’ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનરે વિવિધ વિસ્તારોને ‘નો કેટલ ઝોન’ તરીકે જાહેર કર્યાશહેરના ગોતા, સરદારનગર, ખાડીયા, મણિનગર, કાંકરીયા, નવરંગપુરા, સ્ટેડિયમ, પાલડી, નવા વાડજ, નારણપુરા, ચાંદખેડા, મોટેરા અને સાબરમતી વિસ્તારમાં જો રોડ પર રખડતા ઢોર જોવા મળશે તો પશુમાલિક વિરુદ્ધ પોલીસ જાહેરનામા ભંગની ફરિયાદ કરવામાં આવશે. અમદાવાદના એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, ગાર્ડન, ધાર્મિક સ્થળો, બસ સ્ટેશન, સાબરમતી આશ્રમ , સ્ટેડિયમ, શાળા-કોલેજ, યુનિવર્સિટી, બજારો, બ્રિજ, રિંગ રોડ, રેલવે ક્રોસિંગ, અંડરપાસ, ચાર રસ્તા, નેશનલ હાઇ-વે અને એસ.પી. રિંગ રોડ જેવા ભારે ટ્રાફિક ધરાવતા વિસ્તારોમાં રખડતા પશુઓના કારણે સર્જાતી અવરોધક પરિસ્થિતિને દૂર કરવા માટે પોલીસ કમિશનર દ્વારા વિવિધ વિસ્તારોને ‘નો કેટલ ઝોન’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. નો-કેટલ ઝોન વિસ્તારમાં સૂચનાત્મક બોર્ડ પણ લગાવ્યાઆ જાહેરનામાના અસરકારક અમલ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તથા પોલીસ વિભાગ સંયુક્ત ચકાસણી કરી રહ્યા છે. આ કામગીરી અંતર્ગત નો-કેટલ ઝોન વિસ્તારમાં સૂચનાત્મક બોર્ડ લગાવવામાં આવી રહ્યા છે. સાથે-સાથે પશુઓને રાખવાના સ્થળોની ચકાસણી, લાયસન્સ-પરમિટની તપાસ, પશુ શિફ્ટીંગ અને કડક એન્ફોર્સમેન્ટ હાથ ધરવામાં આવી રહ્યું છે. 'ઝીરો ટોલરન્સ ટુ કેટલ ન્યુસન્સ'ની સ્થિતિ જાળવવા સતત તપાસલાયસન્સ વિના અથવા લાયસન્સ મુજબની સંખ્યા કરતાં વધુ પશુઓ રાખનાર માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. લાયસન્સ ધરાવતા પશુ માલિકોને પશુઓ શહેર બહાર ખસેડવાની તક આપવામાં આવે છે અને સમયમર્યાદામાં પાલન ન થાય તો પશુઓ પકડીને ઢોરવાડામાં મોકલવામાં આવે છે. આ ઉપરાંત 'ઝીરો ટોલરન્સ ટુ કેટલ ન્યુસન્સ'ની સ્થિતિ સતત જાળવી રાખવા માટે સંયુક્ત ટીમો દ્વારા નિયમિત અને સધન ચકાસણી કરવામાં આવી રહી છે. અભિયાન અંતર્ગત 94 પશુઓને શહેર બહાર ખસેડવામાં આવ્યા હતા આ અભિયાન અંતર્ગત દક્ષિણ ઝોનના મણિનગર વિસ્તારમાં તાજેતરમાં CNCD, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, લોકલ પોલીસ, એસ.આર.પી. તથા એસ્ટેટ વિભાગની સંયુક્ત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન 19 લાયસન્સ/પરમિટ હેઠળના કુલ 94 પશુઓને શહેર બહાર ખસેડવામાં આવ્યા હતા તેમજ 19 વાડા અને 1 પાણીનો હવાડો દૂર કરવામાં આવ્યો છે. નો-કેટલ ઝોન એરિયામાં સૂચક બોર્ડ પણ લગાડવામાં આવ્યા છે. આ અભિયાનનો અમલ સ્ટેડિયમ, મોટેરા, વાડજ, નારણપુરા, નવરંગપુરા, એરપોર્ટ, સોલા, ઘાટલોડિયા, મણિનગર, કાંકરીયા, ખાડીયા અને સારંગપુર સહિતના વિસ્તારોમાં શરૂ કરવામાં આવ્યો છે. પશુ માલિકો પાસે જો મંજૂરીથી વધારે ઢોર હશે તો કાર્યવાહી કરાશેશહેર પોલીસ કમિશનર દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડ, ઉત્તર ઝોનના સરદારનગર વોર્ડ, મધ્ય ઝોનના ખાડીયા વોર્ડ, દક્ષિણ ઝોનના મણિનગર વોર્ડ અને કાંકરીયા તથા પશ્ચિમ ઝોનના નવરંગપુરા વોર્ડ, સ્ટેડિયમ, પાલડી વોર્ડ, નવાવાડજ વોર્ડ, નારણપુરા વોર્ડ, ચાંદખેડા વોર્ડ, મોટેરા અને સાબરમતી વિસ્તારોને ‘નો કેટલ ઝોન’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ઢોર પકડવાની કામગીરીમાં અડચણરૂપ થનાર પશુ માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે. પશુ માલિકો દ્વારા ઢોરવાડામાં લાયસન્સ વિના અથવા તો મંજૂરીથી વધારે જો ઢોર હશે તો તેમાં કાર્યવાહી કરવામાં આવશે.
લક્ષ્મી ગ્રુપ સહિત અન્ય લોકો સામે આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ મેરેથોન કાર્યવાહી સતત 7 દિવસ સુધી ચાલી હતી. જેમાં કુલ 1900 કરોડ રૂપિયાના બેનામી ટ્રાન્ઝેકશન શોધી કાઢવામાં આવ્યા છે. 30થી વધુ બેંક લોકરોને હાલ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. તપાસના અંતે 30 કરોડ રૂપિયાની રોકડ અને સોના-ચાંદીના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. સાથે ડુમ્મસ રોડ પર સૂચિત ફાઇવ સ્ટાર હોટલ પ્રોજેક્ટ શરૂ થાય તે પહેલા જ મોટા વિવાદમાં સપડાયો છે. આવકવેરા વિભાગની તપાસમાં બહાર આવ્યું છે કે, આ હાઈ-પ્રોફાઈલ જમીન સોદામાં મોટા પાયે નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી છે. ખાસ કરીને બ્રિજેશ ઠક્કર ઉર્ફે મુન્ના ઓલપાડી દ્વારા કરવામાં આવેલા આ સોદાએ હવે સરકારી એજન્સીઓમાં દોડધામ મચાવી દીધી છે. હાઈ-પ્રોફાઈલ જમીન સોદા પર આવકવેરા વિભાગની નજર સુરતના પોશ ગણાતા ડુમ્મસ રોડ પર ફાઇવ સ્ટાર હોટલનું નિર્માણ થાય તે પૂર્વે જ આ જમીન સોદો મોટા વિવાદમાં સપડાયો છે. આ હાઈ-પ્રોફાઈલ જમીન સોદા પર હાલ આવકવેરા વિભાગની કડક નજર છે. તપાસમાં બહાર આવ્યું છે કે હોટલ માટે જે જમીનનો સોદો કરવામાં આવ્યો છે તેમાં મોટા પાયે નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી હોવાની પૂરેપૂરી શક્યતા છે. આ પ્રોજેક્ટ અત્યારે ડેવલપર્સ અને રોકાણકારો માટે ચર્ચાનો વિષય બન્યો છે. મુન્ના ઓલપાડીની મુખ્ય ભૂમિકા પર તપાસનો ગાળિયોઆવકવેરા વિભાગની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે, આ કરોડોની જમીનનો સોદો બ્રિજેશ ઠક્કર ઉર્ફે મુન્ના ઓલપાડી દ્વારા પાર પાડવામાં આવ્યો હતો. આ સોદો અંદાજે 4 મહિના પહેલા કરવામાં આવ્યો હોવાનું અધિકારીઓના ધ્યાન પર આવ્યું છે. મુન્ના ઓલપાડીની જમીન લે-વેચની પદ્ધતિ અને તેના નેટવર્ક અંગે અત્યારે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેના કારણે સુરતના જમીન બજારના મોટા ખેલાડીઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો: સુરતના ફાઇનાન્સર મુન્ના ઓલપાડીની ઓફિસ-રહેણાંક પર ITનું 48 કલાક સુધી સર્ચ જમીન સોદામાં માત્ર 25 ટકા રકમ જ વ્હાઈટમાં?17,000 વારના વિશાળ ક્ષેત્રફળ ધરાવતી આ કિંમતી જમીનના સોદામાં નાણાકીય વ્યવહારોની પદ્ધતિએ શંકા જન્માવી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, સોદાની કુલ રકમમાંથી માત્ર 25 ટકા રકમ જ સત્તાવાર રીતે ચેકથી અથવા 'વ્હાઈટ'માં દર્શાવવામાં આવી છે. બાકીની 75 ટકા રકમ કઈ રીતે અને કયા માધ્યમથી ચૂકવવામાં આવી છે તે શોધવા માટે અધિકારીઓ મથી રહ્યા છે. આટલા મોટા પાયે રોકડ વ્યવહાર થવો તે ગંભીર કરચોરી તરફ સ્પષ્ટ સંકેત આપે છે. અનિલ બગદાણા અને મુન્ના ઓલપાડી પર સામૂહિક દરોડાઆવકવેરા વિભાગે ઓપરેશન દરમિયાન વ્યૂહાત્મક રીતે કાર્યવાહી કરી હતી. સૌપ્રથમ બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલા અનિલ બગદાણાના સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીના ગણતરીના મિનિટોમાં જ અધિકારીઓની બીજી ટીમ પાલ રોડ પર સ્થિત બ્રિજેશ ઠક્કર ઉર્ફે મુન્ના ઓલપાડીના નિવાસસ્થાને અને ઓફિસે ત્રાટકી હતી. આ બંને વચ્ચેના આર્થિક તાર જોડાયેલા હોવાનું માનવામાં આવે છે. આ દરોડા દરમિયાન અધિકારીઓને અનેક વાંધાજનક દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓ હાથ લાગ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ પણ વાંચો: ભાજપ પર આડકતરું નિશાન સાધતા ધીરુ ગજેરાને સવાલ કરતાં ભાગ્યા 1900 કરોડના ટ્રાન્ઝેકશન શોધી કાઢવામાં આવ્યાઆવકવેરાની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા સાત દિવસ સુધી ચાલેલી આ લાંબી કાર્યવાહીના અંતે કુલ 1900 કરોડ રૂપિયાના બેનામી ટ્રાન્ઝેકશન શોધી કાઢવામાં આવ્યા છે. આ દરોડા લક્ષ્મી ડાયમંડ ગ્રુપ, અનિલ બગદાણા અને મુન્ના ઓલપાડીને ત્યાં પાડવામાં આવ્યા હતા. તપાસના અંતે 30 કરોડ રૂપિયાની રોકડ અને સોના-ચાંદીના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. આટલી મોટી રકમના બિનહિસાબી વ્યવહારો મળતા આગામી દિવસોમાં આ કેસ વધુ ગંભીર વળાંક લેશે અને અન્ય લોકો પણ સકંજામાં આવશે. 30થી વધુ બેંક લોકરો ટાંચમાં લેવાયાદરોડા દરમિયાન માત્ર રોકડ જ નહીં પરંતુ અન્ય સંપત્તિઓ પર પણ કાર્યવાહી કરવામાં આવી છે. વિવિધ શંકાસ્પદ વ્યક્તિઓના નામે રહેલા 30થી વધુ બેંક લોકરોને હાલ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. આ લોકરોને આગામી દિવસોમાં કાયદેસરની પ્રક્રિયા હેઠળ ઓપરેટ કરવામાં આવશે, જેમાં વધુ રોકડ અથવા બેનામી મિલકતના દસ્તાવેજો મળવાની પૂરેપૂરી સંભાવના છે. આ લોકરો ખુલતાની સાથે જ કરચોરીનો સાચો આંકડો અને જટિલ નેટવર્કની વધુ વિગતો સપાટી પર આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. આ પણ વાંચો: પ્રવીણ અગ્રવાલનો PMOને પત્ર ને લક્ષ્મી ગ્રુપ પર ITની તવાઈ હવાલા નેટવર્ક અને ઈડીની સંભવિત એન્ટ્રીમુન્ના ઓલપાડી દ્વારા કરવામાં આવેલા આ જમીન સોદામાં હવાલા મારફતે નાણાંની હેરફેર કરવામાં આવી હોવાની તપાસ ચાલી રહી છે. આવકવેરા વિભાગ હવે આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની મદદ લેવાનું વિચારી રહ્યું છે, કારણ કે નાણાં વિદેશ મોકલવામાં આવ્યા હોવાના સંકેતો મળ્યા છે. જો હવાલાના પુરાવા મજબૂત બનશે, તો મુન્ના ઓલપાડી અને તેના સાથીદારો પર મની લોન્ડરિંગના કાયદા હેઠળ કડક કાર્યવાહી થઈ શકે છે, જેનાથી તેમની મુશ્કેલીઓ અનેકગણી વધી શકે છે. લક્ષ્મી ડાયમંડ ગ્રુપની કરચોરીની મોડસ ઓપરેન્ડીલક્ષ્મી ડાયમંડ ગ્રુપ પરના દરોડામાં હીરાના વેપારમાં થતી ગેરરીતિઓ પણ બહાર આવી છે. ગ્રુપ દ્વારા બોગસ ખર્ચાઓ બતાવીને અને હીરાની રોકડમાં લે-વેચ કરીને મોટા પાયે ટેક્સચોરી કરવામાં આવતી હતી. અધિકારીઓએ એક ખાનગી ફ્લેટમાં છુપાવી રાખેલા લેપટોપ, પેન ડ્રાઇવ અને અગત્યના દસ્તાવેજો કબજે કર્યા છે. આ ડિજિટલ પુરાવાઓમાંથી ડાયમંડ ઉદ્યોગના અન્ય મોટા માથાઓ સાથેના વ્યવહારોની વિગતો પણ મળે તેવી શક્યતા છે, જે તપાસના વ્યાપને સુરતથી મુંબઈ સુધી વિસ્તારી શકે છે. આ પણ વાંચો: સુરતના ગજેરા પરિવારના લક્ષ્મી ડાયમંડ ગ્રુપ પર ITની રેડ મુન્ના ઓલપાડીનું રિયલ એસ્ટેટ નેટવર્કમુન્ના ઓલપાડી માત્ર જમીન દલાલ તરીકે જ નહીં પરંતુ રિયલ એસ્ટેટમાં પાવરફુલ કમાન્ડ ધરાવતો હોવાનું બહાર આવ્યું છે. પાલ અને રાંદર રોડ પર બનતા નવા પ્રોજેક્ટ્સમાં તે દુકાનો અને શો-રૂમ્સ અગાઉથી જ ખરીદી લેતો હતો અને બાદમાં તેને ઉંચા ભાવે રોકડમાં વેચતો હતો. તેની પાસે એક જાણીતી હોટલ અને કલબની કમાન પણ હોવાની માહિતી મળી છે. આ રોકડ વ્યવહારોના પાકા પુરાવા એકત્ર કરવા માટે ઇન્કમટેક્સ વિભાગની ટીમ અત્યારે દિવસ-રાત મહેનત કરી રહી છે. બોગસ લોન અને ટેક્સ ચોરીનું મોટું કૌભાંડદરોડા દરમિયાન એવા અનેક પુરાવા મળ્યા છે જેમાં કરોડપતિ કરદાતાઓએ લાખો રૂપિયાની બોગસ લોન બતાવીને ટેક્સની ચોરી કરી હતી. આ લોકોએ નકલી ખર્ચાઓ ઉભા કરીને પોતાની આવક ઓછી દર્શાવી હતી. મુન્ના ઓલપાડીના સાથીદારો અને તેની સાથે સંકળાયેલા અન્ય ગ્રુપની પણ હવે વિગતો મેળવવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ તમામ વ્યક્તિઓને સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવવામાં આવશે, જેથી ડુમ્મસ રોડની જમીન અને અન્ય બેનામી મિલકતોનું સંપૂર્ણ સત્ય બહાર આવી શકે.
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભીકડા ગામમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ડામવા ગયેલી ખાણ-ખનીજ વિભાગની ટીમ સાથે ઘર્ષણ કરી સરકારી ફરજમાં રૂકાવટ કરી તપાસ ટીમ સાથે બોલાચાલી કરીને JCB ચાલક પોતાનું વાહન લઈને નાસી છૂટતા આ મામલે વરતેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી હતી, આ બનાવ અંગે વરતેજ પોલીસ મથકે થી જણાવા મળતી વિગતો અનુસાર ભાવનગર ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગના ઈન્ચાર્જ ભૂસ્તર શાસ્ત્રી ભરત મગનભાઈ જાલોંધરાએ ફરિયાદ નોંધાવી હતી કે, આજે મંગળવારે સર્વેયર અશ્વિનભાઈ વારોતરીયા અને સિક્યુરીટી સ્ટાફ ભીકડા ગામની પશ્ચિમ દિશામાં આવેલ ગૌચર વિસ્તારમાં તપાસ અર્થે ગયા હતા ત્યાં એક નંબર પ્લેટ વગરનું પીળા રંગનું JCB જેના કાચ પર 'Mogal' લખેલું હતું, ગેરકાયદેસર રીતે માટીનું ખોદકામ કરતું ઝડપાયું હતું, ખનીજ વિભાગની ટીમે જ્યારે ચાલક હારીતસિંહ હનુભા ગોહિલ રહે.ભીકડા પાસે પાસ-પરમિટની માંગણી કરી, ત્યારે તેની પાસે કોઈ આધાર પુરાવા નહોતા, આથી ટીમે જ્યારે JCB સીઝ કરીને પોલીસ સ્ટેશન લઈ જવાની તજવીજ હાથ ધરી, ત્યારે ચાલકે ઉશ્કેરાઈ જઈને સરકારી કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી અને ગેરવર્તણૂક કરી હતી, તેમજ તેણે તકનો લાભ ઉઠાવી આરોપી હારીતસિંહ પોતાનું JCB લઈને ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો, આ સમગ્ર ઘટનાનો વીડિયો સિક્યુરીટી ગાર્ડ દ્વારા મોબાઈલમાં કેદ કરી લેવામાં આવ્યો છે, આ મામલે ભરત જાલોંધરાએ આરોપી વિરુદ્ધ રાજ્ય સેવકની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવા બદલ વરતેજ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી, પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
એર ઈન્ડિયા અને ઈન્ડિગો વિમાનની પાંખો વચ્ચે ટક્કર, મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી
Mumbai Airport: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી, જ્યારે એર ઈન્ડિયા અને ઈન્ડિગો એરલાઈન્સના બે વિમાનોની પાંખો એકબીજા સાથે અથડાઈ, આ ઘટના ગ્રાઉન્ડ મુવમેન્ટ દરમિયાન ઘટી હતી. એર ઇન્ડિયાનું વિમાન ટેકઓફ માટે પુશબેક પ્રક્રિયામાં હતું, જ્યારે ઇન્ડિગોનું વિમાન લેન્ડિંગ પછી ટેક્સી કરી રહ્યું હતું. ત્યારે બંને વિમાનની પાંખો એકબીજા સાથે ટકરાઇ હતી. રાહતની વાત એ છે કે દુર્ઘટનામાં તમામ મુસાફરો હેમખેમ છે.
બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એક 12 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપીને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, સગીરા દુકાને વસ્તુ લેવા ગઈ હતી તે સમયે એક શખ્સે તેને લાલચ આપીને પકડી લીધી હતી. ત્યારબાદ તે સગીરાને દુકાન પાસેના એક મકાનમાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના અંગે જેરામ ઈશ્વર ભાલાળા નામના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પાળીયાદ વિહળધામ સદીઓથી આસ્થાનું કેન્દ્ર:અમાસ અને તહેવારોએ હજારો ભક્તો દર્શનાર્થે ઉમટે છે
બોટાદ જિલ્લામાં આવેલું પાળીયાદ વિહળધામ ગુજરાતના પ્રખ્યાત ધાર્મિક સ્થળો પૈકી એક છે. આ ધામ સદીઓથી શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. અમાસ અને વિવિધ તહેવારો દરમિયાન અહીં હજારો ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. ઠાકર રઘુનાથના મંદિર ખાતે નિયમિતપણે ધ્વજારોહણ, મહાપ્રસાદ અને રક્તદાન શિબિર જેવી અનેક સામાજિક તથા ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતના ખૂણેખૂણેથી ભક્તો પગપાળા ચાલીને ઠાકરના દર્શન કરવા આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ થતા ધન્યતા અનુભવે છે. અહીં તમામ હિન્દુ તહેવારોની ભાવપૂર્વક ઉજવણી થાય છે. ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ પાળીયાદ જગ્યામાં દર્શનનો લાભ લે છે. વિહળધામની ઓળખ ટુકડો ત્યાં હરિ ઢુકડોની કહેવતને સાર્થક કરવા માટે છે, જ્યાં વર્ષોથી યાત્રાળુઓ માટે અન્નક્ષેત્ર કાર્યરત છે. આ અન્નક્ષેત્રમાં ઊંચનીચના ભેદભાવ વિના સૌને ભાવપૂર્ણ ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે. દૂર દૂરથી આવતા મહેમાનોને રોટલો અને ઓટલો આપી આદર સત્કાર કરવામાં આવે છે. પરમ પૂજ્ય નિર્મળાબા અને ભયલુ બાપુના સત્કાર્ય ભાવથી દુઃખી મને આવતો વ્યક્તિ પણ સુખી થાય તેવા દિવ્ય વાતાવરણની હરિભક્તો અનુભૂતિ કરે છે. વિહળધામ દ્વારા અનેક સામાજિક ઉત્થાન, શૈક્ષણિક જાગૃતિ અને અબોલ જીવો માટે સેવા કાર્યો પણ હાથ ધરવામાં આવે છે. બોટાદ જિલ્લાની મુલાકાત લેતા પ્રવાસીઓ અને યાત્રાળુઓ માટે વિહળાનાથની આ જગ્યાના દર્શન કરવા એક મહત્વપૂર્ણ સ્થળ છે.
શહેરના આશ્રમ રોડ પર આવેલી બેંક ઓફ ઇન્ડિયામાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચોરે બારીનો કાચ કાઢીને તીક્ષ્ણ હથિયારથી સળિયો કાપીને બેંકમાં ઘૂસ્યો હતો. જોકે કોઇ કિંમતી સામાન ન હોવાથી ચોરી થઇ ન હતી માત્ર નુકસાન થયુ હોવાનું સામે આવ્યુ છે. ચોરીના નિષ્ફળ પ્રયાસની ઘટના બેંકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ મામલે ચીફ મેનેજરે અજાણ્યા ચોર સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. કેશરૂમની અંદર ત્રણ ચેમ્બરોના ડ્રોવરો ખુલ્લા હતાઆ અંગેની વિગત એવી છે કે, મોટેરામાં રહેતા પ્રહલાદભાઇ પંડિત આશ્રમ રોડ પર આવેલા બેંક ઓફ ઇન્ડિયામાં ચીફ મેનેજર તરીકે નોકરી કરે છે. 2 ફ્રેબ્રુઆરીએ સવારે તેમના સ્ટાફના કર્મીએ ફોન કરીને જણાવ્યું કે બેંકના દરવાજાનું લોક ખોલીને બેંકમાં જતા ટોયલેટ તરફની તિજોરીઓ ખુલ્લી હતી. તેમજ લોબીમાં રહેલ બારીનો કાચ અને સળિયો તૂટેલી હાલતમાં હતો. જેથી કર્મીએ બેંકમાં તપાસ શરૂ કરી હતી. જેમાં કેશરૂમની અંદર ત્રણ ચેમ્બરોના ડ્રોવરો પણ ખુલ્લી હાલતમાં હતા. મેનેજરની અજાણ્યા ચોર સામે ફરિયાદબેંકમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા મોડી રાત્રીના 2.26 વાગ્યે એક યુવકે ગળામાં મફલર લપેટીને અને હાથમાં મોજા પહેરીને આવ્યો હતો. તેને હેક્સા બ્લેડ જેવા હથિયારથી બારીનો કાચ કાઢીને સળિયો કાપીને બેંકમાં ઘૂસ્યો હતો અને ચોરીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બેંકમાંથી કોઇ વસ્તુ ચોરીને લઇ ગયો હોય તેમ જણાતું ન હતું. ચોરે માત્ર નુકસાન કર્યુ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે મેનેજરે અજાણ્યા ચોર સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)નું વર્ષ 2026-27નું રૂ. 991 કરોડનું ડ્રાફ્ટ બજેટ ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા રજુ કરવામાં આવેલા બજેટમાં AMTS કમિટીના ભાજપના ચેરમેન ધરમશી દેસાઈ દ્વારા રૂ. 20 કરોડના સુધારા સાથે રૂ. 1011 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂપિયા 9 કરોડ મેળવી વધુ 4 ઇલેક્ટ્રીક ડબલ ડેકર બસો ખરીદવામાં આવશે. ઘરમાં રૂમમાં શુદ્ધ હવા રહે તેના માટે રૂમ ફ્રેશનર-પ્યોરિફીકેશન હોય એવી રીતે બસમાં પણ પ્યોરીફિકેશન સિસ્ટમ લગાવવામાં આવશે. વર્ષ 2026-27માં 1600 બસો સંચાલનમાં મૂકાશેAMTS કમિટીના ચેરમેન ધર્મસિંહ દેસાઈએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા શહેરીજનોને સ્થળેથી બીજા સ્થળે જવા માટે બસોની સુવિધા પૂરી પાડે છે જે અંતર્ગત બજેટ વર્ષ 2026-27 દરમિયાન 1600 જેટલી બસો સંચાલનમાં મૂકવામાં આવશે. તમામ રૂટનું વિગતવાર એનાલિસિસ કરી જરૂરીયાત મુજબ બસોની ફ્રિકવન્સી વધારવામાં આવશે જેના માટે ટેકનોલોજીનો પણ ચાલુ વર્ષે ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. AI ટેકનોલોજીનો ઉપયોગ કરી ડાયનામિક શિડ્યુલિંગ સોફ્ટવેર ઓપ્ટિમાઇઝેશન કરવામાં આવશે જેની પાછળ ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ સિસ્ટમ લગાવવાના કારણે કયા રૂટ ઉપર વધારે બસોની જરૂરિયાત છે તેની જાણકારી મળશે. હવા શુદ્ધ રાખવા બસમાં એર પ્યોરીફિકેશન સિસ્ટમવધુમાં તેમણે જણાવ્યું હતું કે 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી દરેક ઝોનમાં પાંચ ટ્રી બસ શેલ્ટર બે કરોડ રૂપિયાના ખર્ચે, પ્રદૂષણ મુક્ત શહેરી પરિવહન પ્રોજેક્ટ પ્રોગ્રામ અંતર્ગત મુસાફરોને રેટ્રોફિટ તૈયાર પ્યોરીફિકેશન સિસ્ટમ લગાવવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં 3 કરોડના ખર્ચે 70 એસી બસોમાં લગાવવામાં આવશે. વર્ણી જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે જમાલપુર ડેપો ખાતે 50 વર્ષ જૂની જર્જરીત હાલતમાં રહેલી સ્ટોર બિલ્ડિંગ નવી બનાવવામાં આવશે. સ્ટાફ બિહેવિયર ટ્રેનિંગ પ્રોગ્રામ કરાશેબસમાં મુસાફરી કરનારા મુસાફરો સાથે કંડકટર અને ડ્રાઇવર દ્વારા યોગ્ય રીતે વ્યવહાર કરવામાં આવે તેના માટે સ્ટાફ બિહેવિયર ટ્રેનિંગ પ્રોગ્રામ પણ કરવામાં આવશે જેના માટે 20 લાખ રૂપિયાનો ખર્ચ એમટીએસ રેવન્યુ બચતમાંથી કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં અને તેની આસપાસના ગામો જેવા કે કુંજાડ, ઉન્દ્રેલ, હલદરવાસ, મહેમદાવાદ, દહેગામ, કરોલી, વામજ કલોલ, મોતીપુરા, સાણંદ, માધવનગર, બાવળા, કાસીન્દ્રા અને બારેજા સુધી બસ સુવિધાઓ આપવામાં આવી રહી છે.
વડોદરા શહેરમાં 47.98 લાખ રૂપિયાના હેરોઈન ડ્રગ્સ કાંડમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.ડી. રાતડાની બદલી કરવામાં આવી છે. વડોદરા શહેર પોલીસ કમિશનરના આદેશ મુજબ તેમને લીવ રિઝર્વમાં મોકલવામાં આવ્યા છે. આ કાંડમાં SOGના જવાન લક્ષ્મીકાંત દેસાઈની પણ ધરપકડ થઈ હતી, જેના ઘરમાં સ્ટેટ મોનિટરિંગ ટીમે તાજેતરમાં સર્ચ ઓપરેશન કર્યું હતું. પોલીસે આરોપીઓના બેંક એકાઉન્ટની વિગતો મેળવીને ટ્રાન્ઝેક્શનની તપાસ શરૂ કરીપોલીસે આરોપી લક્ષ્મીકાંત દેસાઈના ઘરમાંથી નાણાકીય તપાસ માટે બેંક એકાઉન્ટની વિગતો કબજે કરી છે. આ ઉપરાંત વિવિધ બેંક ટ્રાન્ઝેક્શનની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીને લઈને ડ્રગ્સ કાંડની તપાસમાં નવી દિશા મળી શકે છે, એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કેસમાં SOGના જવાન લક્ષ્મીકાંત દેસાઈની ધરપકડ બાદ પોલીસે તેના ઘરમાં તપાસ કરી હતી, જે દરમિયાન નાણાકીય વ્યવહારોના પુરાવા મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીઓના બેંક એકાઉન્ટની વિગતો મેળવીને ટ્રાન્ઝેક્શનની વિગતવાર તપાસ શરૂ કરી દીધી છે, જેથી ડ્રગ્સના વેપારી નેટવર્ક અને તેના સંબંધોની વધુ માહિતી મેળવી શકાય. આ કાંડની તપાસ હવે ડ્રગ્સના વેચાણ સાથે જોડાયેલા આર્થિક વ્યવહારો અને સંભવિત અધિકારીઓની ભૂમિકા પર કેન્દ્રિત થઈ ગઈ છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીઓની પૂછપરછ તેમજ નાણાકીય પુરાવાઓના આધારે આગળની તપાસ ઝડપથી આગળ ધપાવવાની તૈયારી કરી છે. લક્ષ્મીકાંત દેસાઇને સીમકાર્ડ વાપરવા આપનાર સાગરની SMC દ્વારા પૂછપરછઆરોપી એએસઆઇ લક્ષ્મીકાંત દેસાઇ પાસેથી તેના રેગ્યુલર નંબર સિવાય અન્ય એક મોબાઇલ બીજુ સિમકાર્ડ મળ્યું હતું. તે સિમકાર્ડની વિગત કંપની પાસે પોલીસે માંગી હતી. જેમાં આ વ્યક્તિનું નામ સાગર પાટોડે હોવાનું બહાર આવ્યું હતું. જેથી એસએમસીની ટીમે વડોદરા આવી હતી અને આ સીમકાર્ડ કેમ લક્ષ્મીકાંત દેસાઇ આપ્યું હતું. તેની પૂછપરછ કરતી હતી ત્યારે સાગરે ડાઇરેક્ટ નહી પરંતુ અન્ય એક મિત્ર દ્વારા મુલાકાત એએસઆઇ સાથે થયા બાદ વાપરવા માટે આપ્યું હોવાનુ જણાવ્યું હતું. પેડલરના કબજે કરવામાં આવેલા મોબાઇલની ડિટેઈલ કઢાવી હતીઉલ્લેખનીય છે કે, વડોદરા રેલ્વે સ્ટેશન પરથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા 9 જાન્યુઆરીના રોજ 47.98 લાખના હેરોઈન ડ્રગ્સ સહિત રૂપિયા 48.07 લાખના મુદ્દામાલ સાથે પેલડર અમરીકસીંઘ ઉર્ફે સોનુ સરવણસીંઘ દિલીપસીંઘ મલ્હી (રહે. ગુરુનાનક નગર, છાણી જકાતનાકા, વડોદરા શહેર)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે હેરોઈન ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર શખસને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે આ ગુનામાં સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી અને પેડલરના કબજે કરવામાં આવેલા મોબાઇલની ડિટેઈલ કઢાવી હતી. વડોદરા શહેર SOG બ્રાન્ચમાં ફરજ બજાવતાં પોલીસ કર્મચારી ASI લક્ષ્મીકાંત ભીખુભાઈ દેસાઈ (ઉવ. 57 રહે.સનમિલન સોસાયટી, સુભાનપુરા ફાઈટેન્શન રોડ, વડોદરા)ની આરોપી પેડલર અમરીકસિંધ ઉદ્દે સોનુ મલ્હી સાથે સંડોવણી બહાર આવતા સમગ્ર પોલીસ વિભાગમાં ચકચાર મચી ગઇ છે. જેને લઈ SMC દ્વારા ધી નાર્કોટીકસ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ કલમ-8(સી),222(બી),29 મુજબના ગુના હેઠળ લક્ષ્મીકાંત દેસાઇની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ASI લક્ષ્મીકાંત દેસાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતીSMCની ટીમ દ્વારા આરોપી ASI લક્ષ્મીકાંત દેસાઈની વધુ પૂછપરછ કરવા માટે 1 ફેબ્રુઆરીના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તપાસ અધિકારી દ્વારા કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. ત્યારે મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીના 5 ફેબ્રુઆરી સુધીના એટલે ચાર દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડની મંજૂર કરવામાં આવ્યા હતા.
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત તમામ આધાર કેન્દ્રો આગામી તારીખ 6 ફેબ્રુઆરીને શુક્રવારના રોજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દિવસે તમામ આધાર કેન્દ્રો ખાતે ફરજ બજાવતા ઓપરેટરો અને સુપરવાઈઝરો માટે એક વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. UIDAI દ્વારા આયોજિત Universal client for master trainers વિષય હેઠળની આ તાલીમ કલેક્ટર કચેરી ખાતે યોજાનાર છે. તમામ સ્ટાફ માટે આ તાલીમમાં હાજર રહેવું અનિવાર્ય હોવાથી એક દિવસ માટે જાહેર જનતા માટેની સેવાઓ સ્થગિત રહેશે. તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય આધાર પ્રક્રિયાને વધુ સચોટ અને આધુનિક બનાવવાનો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી શાખા દ્વારા જણાવવામાં આવ્યું છે કે તાલીમ પૂર્ણ થયા બાદ બીજા દિવસથી તમામ કેન્દ્રો પર રાબેતા મુજબ કામગીરી શરૂ કરી દેવામાં આવશે. રાજકોટના નાગરિકોને આ ફેરફારની નોંધ લેવા અને તે મુજબ પોતાના કામનું આયોજન કરવા વિનંતી કરવામાં આવી છે. વધુ માહિતી માટે લોકો નં. 0281-2221640 પર સંપર્ક કરી શકે છે. જોકે મનપાનાં તમામ આધારકાર્ડ કેન્દ્રો શુક્રવારે આખો દિવસ બંધ રહેતા અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડશે. રાજકોટમાં અનધિકૃત રીતે જાહેરાતનાં બોર્ડ,બેનર અને પોસ્ટર લગાડનારા 10ને નોટિસ રાજકોટ શહેરના મુખ્ય માર્ગો, સર્કલો, ડીવાઈટર, પોલ વગેરે જગ્યાઓ પર અનધિકૃત રીતે પોતાની જાહેરાતનાં બોર્ડ/બેનર/પોસ્ટર લગાવીને શહેરની મિલકતને નુકશાન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દબાણ હટાવ શાખાએ જાન્યુઆરીમાં કુલ ૧૦ આસામીઓને નોટીસ ફટકારી છે. જેમાં હેતલ હેપી હોમ, આત્મન પ્રી સ્કુલ, હરિકૃષ્ણ સીટી, હોટલ વીબી ઈન, જે.જે.ટુટોરીયલ્સ, સેન્ચુરી રીગાલીયા, જય ગણેશ ટોયોટા, અર્બન વિવાહ, જે. ડી.મોલ અને જતન ઈન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે. આ સાથે જ મનપાએ જાહેર કર્યું છે કે, રાજકોટ શહેરના મુખ્ય માર્ગો, સર્કલો, ડીવાઈટર, પોલ ઉપર કોઈપણ પ્રકારની અનધિકૃત જાહેરાતને લગત બોર્ડ/બેનર/પોસ્ટર લગાવવા નહિ.રાજકોટ મહાનગરપાલિકાની પૂર્વ મંજૂરી વગર અનઅધિકૃત રીતે આવા બોર્ડ કે બેનર લગાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવી 9 ટીપી સ્કીમ માટે એજન્સીની નિમણૂક કરાશે, ટેન્ડર જાહેર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં નવા ભળેલા વિસ્તારોના ઝડપી વિકાસ માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે. મનપાએ નવી 9 ટાઉન પ્લાનિંગ (ટીપી) સ્કીમ તૈયાર કરવા માટે એજન્સી રોકવા ટેન્ડર પ્રસિદ્ધ કર્યા છે. અત્યાર સુધીમાં મનપાએ કુલ 59 ટીપી સ્કીમનો ઇરાદો જાહેર કર્યો છે, જેમાંથી 40 સ્કીમને પ્રારંભિક મંજૂરી મળી છે અને 19 સ્કીમના ડ્રાફ્ટ મંજૂર થઈ ચૂક્યા છે. હવે બાકી રહેલી સ્કીમો અને નવા વિસ્તારોમાં સર્વે તથા માપણીની કામગીરી વેગવંતી બનાવવા માટે આ નિર્ણય લેવાયો છે. કામગીરી હેઠળ પસંદ થનાર એજન્સીને 5 વર્ષ જવાબદારી સોંપવામાં આવશે. જેમાં ડીજીપીએસ મશીન દ્વારા માપણી કરવી, નગરરચના યોજનાઓ માટે બેઝમેપ તૈયાર કરવા, રેકોર્ડ પ્રમાણિત કરવા, ડિમાર્કેશન જેવી મહત્વની કામગીરીનો સમાવેશ થાય છે. ખાસ કરીને વાવડી, કોઠારીયા અને મવડી જેવા વિસ્તારોમાં ડ્રાફ્ટની કામગીરી પૂર્ણતાના આરે છે ત્યારે અન્ય ગામોમાં આ પ્રક્રિયા શરૂ કરાશે. આ પ્રોજેક્ટ માટે મનપા દ્વારા કરોડોના ખર્ચે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પારદર્શક આયોજન કરવામાં આવશે. શહીદ સુખદેવ ટાઉનશિપમાં નબળા બાંધકામનો આક્ષેપ, આંગળીના ટેરવે ઉખડી રહી છે લાદી રાજકોટના શીતલ પાર્ક નજીક આવેલી શહીદ સુખદેવ ટાઉનશિપમાં ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો સ્થાનિક રહેવાસીઓ દ્વારા કરવામાં આવ્યા છે. વર્ષ 2022 માં તૈયાર થયેલા આવાસ યોજનામાં અત્યારથી જ નબળા બાંધકામની પોલ ખુલી રહી હોય તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. આ ટાઉનશીપમાં કુલ 448 જેટલા ફ્લેટ ધારકો વસવાટ કરે છે, જેમાંથી અનેક મકાનોમાં ફ્લોરિંગની લાદીઓ ઉખડી ગઈ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે બાંધકામ દરમિયાન લાદી ફિટિંગમાં સિમેન્ટનો બહુ ઓછો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે માત્ર આંગળીઓના ટેરવે અડવાથી પણ લાદીઓ આખી ઉખડી રહી છે. આ મામલે રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓએ માંગ કરી છે કે તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક તપાસ કરવામાં આવે અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરવામાં આવે. માત્ર 4 વર્ષના ગાળામાં મકાનોની હાલત બિસ્માર થવા લાગતા લોકોના જાન-માલના જોખમ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. હાલ નાણાં ખર્ચીને ઘર લેનારા મધ્યમ વર્ગના પરિવારો આ નબળા બાંધકામને કારણે મુશ્કેલીમાં મુકાયા છે.
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા સરકારી વસાહતમાં આઠમા માળે આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા તાત્કાલિક ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી, ત્યારે પરિવારજનો બહાર નીકળવા લાગ્યા હતા. જોકે, દસ વર્ષની બાળકી રૂમમાં ફસાઈ ગઈ હતી જેથી ફાયર બ્રિગેડના જવાનોએ બાળકીને રૂમાંથી કાઢી બચાવી લીધી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. સરકારી વસાહતમાં આઠમા માળે આગ લાગીમળતી માહિતી મુજબ વસ્ત્રાપુર સરકારી લાયબ્રેરી સામે આવેલી સરકારી વસાહતમાં આજે 3 ફેબ્રુઆરીના રોજ 8મા માળે આવેલા મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર વિભાગે તાત્કાલિક રવાના થઈ ઝડપી કામગીરી હાથ ધરી હતી. સ્થળ પર એક વોટર બાઉઝર (20 KL), એક ફાયર ફાઇટર, ચાર ફર્સ્ટ રિસ્પોન્ડર અને એક H.P.L. સહિત કુલ 7 ફાયર વાહનો મોકલવામાં આવ્યા હતા. જોકે આ ઘટનામાં આગ અને ધુમાડો વધુ થયો હતો જેથી પાણીનો મારો ચલાવ્યો હતો. રૂમમાં 10 વર્ષની બાળકી આગની વચ્ચે ફસાઈ હતીઆગ લાગતાની સાથે જ ઘરમાં પરિવારજનો બહાર નીકળી ગયા હતા. જોકે રૂમમાં એક 10 વર્ષની બાળકી આગની વચ્ચે ફસાઈ ગઈ હતી. જેને ફાયરના જવાનોએ તરત જ બહાર કાઢી લીધી હતી. આસપાસના રહેવાસીઓએ પણ ફાયર વિભાગની કામગીરીની પ્રશંસા કરી હતી. પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની માહિતી મળી હતી. અંદાજે રૂ.50 હજાર જેટલી માલમત્તાનું નુકસાન થયું છે. લાંભા-નારોલ હાઇવે ઉપર ટ્રકમાં આગ લાગી હતીજ્યારે શહેરના લાંભા-નારોલ હાઇવે ઉપર એક ટ્રકમાં પણ આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ થતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળ ઉપર મોકલવામાં આવી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લેવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે રોડ ઉપર ટ્રકમાં આગ લાગી હતી જેને લઈને લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી.
ગોધરા શહેરની મેસરી નદીના કાંઠે આવેલા દબાણો દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે. આ નોટિસ બાદ 200થી વધુ અસરગ્રસ્ત પરિવારોએ 3 ફેબ્રુઆરીના રોજ જિલ્લા કલેક્ટર અજય દહિયા સમક્ષ રજૂઆત કરી હતી. ગોધરા નગરપાલિકાએ 200થી વધુ દબાણકર્તાઓને સાત દિવસમાં દબાણ દૂર કરવા માટે નોટિસ પાઠવી છે. આ નોટિસને કારણે મોટી સંખ્યામાં પરિવારો અચાનક બેઘર થવાની ભીતિ અનુભવી રહ્યા છે. રજૂઆત દરમિયાન રહીશોએ જણાવ્યું હતું કે તેઓ વર્ષોથી મેસરી નદીકાંઠે વસવાટ કરી રહ્યા છે. અચાનક આપવામાં આવેલી નોટિસને કારણે તેમના માટે વૈકલ્પિક રહેઠાણ શોધવું મુશ્કેલ બન્યું છે. રહીશોએ દબાણ દૂર કરવાની કાર્યવાહી માટે વધુ સમય આપવાની માંગ કરી હતી. જિલ્લા કલેક્ટર અજય દહિયાએ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રમઝાન માસ બાદનો સમયગાળો આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી. આ ખાતરીથી અસરગ્રસ્ત પરિવારોમાં રાહતની લાગણી પ્રસરી છે.
સુરત સેશન્સ કોર્ટે તાજેતરમાં એક ચકચારી હત્યા કેસમાં જાણીજોઈને ફરી ગયેલા છ સાક્ષીઓને એક માસની કેદની સજા ફટકારીને ન્યાયિક જગતમાં દાખલો બેસાડ્યો છે. શું હતો સમગ્ર મામલો?ઘટનાની વિગત મુજબ, ગત 5 નવેમ્બર 2021ના રોજ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ભગવાન નગર સોસાયટીમાં કાળુ ઉર્ફે કિશન બારૈયા નામના યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં પોલીસે દિપેશ ઉર્ફે બાબુ કંટારીયા નામના આરોપીની ધરપકડ કરી હતી. કેસની ગંભીરતાને જોતા પોલીસે તમામ પુરાવાઓ એકત્ર કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. સોગંદ પર અદાલતમાં ખોટો પુરાવો આપ્યોઆ કેસની ટ્રાયલ દરમિયાન જ્યારે મહત્વના સાક્ષીઓની જુબાની લેવાની શરૂઆત થઈ, ત્યારે આશ્ચર્યજનક રીતે છ સાક્ષીઓ પોતાની અગાઉની પોલીસ સમક્ષ આપેલી જુબાનીથી ફરી ગયા હતા. તેઓએ સોગંદ પર અદાલતમાં ખોટો પુરાવો આપ્યો અને આરોપીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. સાક્ષીઓના આ નકારાત્મક વલણ અને પુરાવાના અભાવે મુખ્ય આરોપી દિપેશ ઉર્ફે બાબુ કંટારીયા નિર્દોષ છૂટી ગયો હતો. આરોપી ભલે છૂટી ગયો, પણ ન્યાયતંત્ર સાથે રમત રમનાર સાક્ષીઓને કોર્ટે છોડ્યા નહીં. સેશન્સ કોર્ટે આ મામલે ગંભીર નોંધ લીધી અને આરોપીને મદદ કરવાના બદઈરાદાથી ખોટી જુબાની આપવા બદલ સાક્ષીઓ વિરુદ્ધ સી.આર.પી.સી. કલમ-344 મુજબ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી હતી. કોર્ટે આ તમામ સાક્ષીઓને કારણ દર્શક નોટિસ ફટકારી હતી કે તેમની સામે કાર્યવાહી કેમ ન કરવી? સજા પામનાર સાક્ષીઓની યાદીકોર્ટના આકરા વલણ બાદ આજે જે છ સાક્ષીઓને સજા ફટકારવામાં આવી છે. જેમાં નિખીલ ઉર્ફે ખાટો નાનજીભાઇ મારૂ, કરણ ઉર્ફે કલ્લુ દિનેશભાઇ રાઠોડ, ગૌતમ કાળુભાઇ ગોહિલ,ધર્મેશ હિંમત ભાઇ મિયાત્રા,કિરણ નરેશભાઇ અણજારા, પુજાબેન અમરતભાઇ નાગર સામેલ છે. અદાલતે આ તમામને એક માસની સાદી કેદ અને રૂ. 300 નો દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો વધુ પાંચ દિવસની સજા ભોગવવાનો પણ હુકમ કર્યો છે. 'સાક્ષીઓ ફરી જાય એ ન્યાયની પ્રક્રિયા પર સીધી તરાપ મારવા સમાન'ચુકાદો આપતા કોર્ટે અત્યંત ધારદાર અવલોકન કર્યું હતું કે, ખૂન જેવા ગંભીર ગુનામાં જ્યારે સાક્ષીઓ જાણીજોઈને ફરી જાય, ત્યારે તેને હળવાશથી ન લેવાય. આ ન્યાયની પ્રક્રિયા પર સીધી તરાપ મારવા સમાન છે. કોર્ટે વધુમાં ઉમેર્યું હતું કે જો આવા સાક્ષીઓ સામે કડક હાથે કામ લેવામાં ન આવે, તો સામાન્ય જનતાનો ન્યાયતંત્ર પરથી વિશ્વાસ ઉઠી જશે. અદાલતની ફરજ છે કે તે મૂકપ્રેક્ષક બનીને બેસી ન રહે. વકીલ અશ્વિન જોગડિયાએ જણાવ્યું હતું ke, સુરત કોર્ટના આ ઐતિહાસિક ચુકાદાથી એ સ્પષ્ટ સંદેશ ગયો છે કે અદાલતમાં આવીને સોગંદ પર ખોટું બોલવું એ ગુનો છે. સરકારી વકીલ દીપેશ દવે અને ફરિયાદી પક્ષના વકીલોની દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે જેલની સજા સંભળાવી છે. આ હુકમથી હવે સાક્ષીઓ કોર્ટમાં નિવેદન આપતા પહેલા સો વખત વિચારશે, જે લાંબે ગાળે ન્યાય પ્રણાલીને મજબૂત બનાવશે.
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે મંગળવારે સાંજે એક અઢી વર્ષના બાળકને રખડતી ગાયે હુમલો કરી ઘાયલ કર્યો હતો. ગામમાં પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે તાત્કાલિક બાળકને બચાવી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. આ ઘટના સાંજે 6:30 વાગ્યાની આસપાસ બની હતી.ચંદ્રુમાણા ગામના ગોગા વાળા વાસમાં અરવિંદજી ઠાકોરનો બે વર્ષનો દીકરો રૂદ્ર શેરીમાં રમી રહ્યો હતો. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલી એક ગાયે બાળકને શિંગડા વડે હુમલો કર્યો હતો, જેના કારણે બાળક નીચે પટકાયો હતો.બાળકને મોઢા અને પેટના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ગાયના હુમલાથી તે ઘાયલ થયો હતો. આ સમયે ગામમાં બંદોબસ્ત માટે નીકળેલી પાટણ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ ત્યાંથી પસાર થઈ રહી હતી. પોલીસકર્મીઓએ તાત્કાલિક બાળકને ગાયથી છોડાવી પોતાની સરકારી ગાડીમાં બેસાડી હોસ્પિટલ જવા રવાના થયા હતા. રસ્તામાં 108 ઈમરજન્સી વાનને ફોન કરતા, અડિયા ખાતેથી 108 વાન મળી હતી અને બાળકને વધુ સારવાર માટે પાટણ ખાતે લઈ જવાયો હતો.બાળકને બચાવવાના પ્રયાસમાં પાટણ તાલુકા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વિક્રમભાઈ શંકરભાઈને પણ ઈજાઓ થઈ હતી.
જામનગર પૂર્વ વિરોધપક્ષ નેતા પર હત્યા પ્રયાસનો મામલો:આરોપી અલ્તાફ ખફીના આગોતરા જામીન રદ
જામનગરમાં એક કોર્પોરેટર પર થયેલા હુમલાના પ્રયાસ કેસમાં આરોપી કોર્પોરેટર અલ્તાફભાઈ ખફીની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે રદ કરી છે. આ ઘટના લગભગ સવા મહિના પહેલા બની હતી. ગત 29 ડિસેમ્બર, 2025ના રોજ સાંજે 7:30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિરોધપક્ષના નેતા અસલમભાઈ ખીલજી (જેઓ તાજેતરમાં કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા) JMCમાંથી નીકળી રહ્યા હતા. ભીડભંજન મંદિર પાસે તેઓ પોતાની મોટરસાયકલ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક ફોર-વ્હીલ કારે પાછળથી ટક્કર મારી તેમને પાડી દીધા હતા. કારમાંથી જુનેદ ઉર્ફે પાવડરીયો (તલવાર સાથે), ઇસ્તિયાક (લોખંડના પાઇપ સાથે) અને સમીર ઉર્ફે ચોટલી (લાકડાના ધોકા સાથે) બહાર આવ્યા હતા. તેઓએ અસલમભાઈ ખીલજીને જણાવ્યું કે તેમને કોર્પોરેટર અલ્તાફભાઈ ખફીએ મોકલ્યા છે અને પૂછ્યું કે તેઓ અલ્તાફભાઈ ખફી સામે કેમ થાય છે. હુમલાખોરોએ તેમને પતાવી દેવાની ધમકી આપી તલવાર, લોખંડના પાઇપ અને ધોકા વડે આડેધડ માર મારવાનું શરૂ કર્યું હતું. આ હુમલા દરમિયાન રાહદારીઓએ 108ને જાણ કરતા અસલમ ખીલજીને સૌપ્રથમ જામનગરની જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ હતી. ત્યારબાદ વધુ સારવાર માટે તેમને જામનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમના ભત્રીજા શાહનવાઝ મોહમદ ખીલજીએ જામનગર પોલીસ સ્ટેશનમાં જુનેદ ઉર્ફે પાવડરીયો રજાક ચૌહાણ, સલીમ વલીભાઈ ખીલજી, ઇસ્તિયાક ઉર્ફે ચોટલી બોદુભાઈ કુરેશી, હબીબ ખફી, સમીર ઉર્ફે ચોર શકીલભાઈ ચૌહાણ અને અલ્તાફભાઈ ખફી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કેટલાક આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. આ કેસમાં આરોપી અલ્તાફભાઈ ગફારભાઈ ખફીએ જામનગરની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. તેમના વકીલે રજૂઆત કરી હતી કે અલ્તાફભાઈ સમાજમાં આગેવાન અને સામાજિક કાર્યકર છે, ચાર ટર્મથી કોર્પોરેટર છે અને ઘટનાસ્થળે હાજર ન હતા. તેમણે અન્ય સ્થળે હાજર હોવાના ફોટોગ્રાફ્સ પણ રજૂ કર્યા હતા. વકીલે દલીલ કરી હતી કે ઇજાગ્રસ્ત અસલમભાઈ ખીલજી અલ્તાફભાઈની રાજકીય કારકિર્દીનો વિકાસ જોઈ ઈર્ષ્યાથી પ્રેરાઈને ખોટી રીતે તેમને આ કેસમાં સંડોવી રહ્યા છે, તેથી તેમને આગોતરા જામીન પર મુક્ત કરવા જોઈએ. આ દલીલો સામે સરકારી વકીલ રાજેશ વસિયરે સરકાર પક્ષે રજૂઆત કરી હતી કે આ સમગ્ર કાવતરું અલ્તાફભાઈ ખફી દ્વારા જ કરવામાં આવ્યું હતું. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અદાલતે અલ્તાફભાઈ ખફીની આગોતરા જામીન અરજી રદ કરી હતી. અસલમભાઈ ખીલજીને મલ્ટીપલ ફેકચર કરવામાં આવેલ છે અને આરોપીઓ દ્વારા જાહેર સ્થળ ઉપર કોઈપણ જાતનાં ભય વગર ઈજા પામનાર ને જાન થી મારી નાખવાનો પ્રયત્ન કરેલ છે.તેમજ અસલમભાઈ ખીલજી ઉપર હુમલો કલાક 19:45વાગ્યા આસપાસ થયેલ તે પહેલા 19:40વાગ્યે આરોપી જુનેદ અને અલ્તાફભાઈ ખફી દ્વારા વોટએપ કોલ દ્વારા વાતચીત થયેલ હતી. અને અલ્તાફભાઈ ખફી વિરુધ્ધ અગાઉ પણ 5 જેટલા ગુન્હા નોંધાયેલ હતા.તેમજ અલ્તાફભાઈ ખફી દ્વારા ગુજરાત હાઈકોર્ટ માંથી પણ કવોશીંગ પીટીશન વિથડ્રો કરેલ છે.જે તમામ દલીલો ઘ્યાને લઈ સેશન્સ જજ વિ.પી.અગ્રવાલ દ્વારા કોર્પોરેટર અલ્તાફભાઈ ખફી ની આગોતરા જામીન અરજી રદ કરેલ છે.ઉપરોકત કેસમાં સરકાર તરફે સરકારી વકીલ રાજેશ કે. વસીયર તથા મુળ ફરીયાદી તરફે હર્ષદ એમ. ભટ રોકાયેલ હતા તેમજ સમગ્ર જામીન અરજી ડી.જી.પી જમનકુમાર ભંડેરી નાં માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી હતી.
સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે આહીર સમાજ દ્વારા આયોજિત 7મો સમૂહલગ્ન મહોત્સવ સંપન્ન થયો હતો. આ પ્રસંગે 34 યુગલોએ શાસ્ત્રોક્ત વિધિ સાથે વૈવાહિક જીવનનો પ્રારંભ કર્યો હતો. આહીર સમાજ લોઢવા સમૂહલગ્ન સમિતિના અધ્યક્ષ મેરૂભાઈ વાળા અને અગ્રણી વિજાનંદભાઈ વાળાએ જણાવ્યું હતું કે, સમાજમાં લગ્ન પાછળ થતા બિનજરૂરી ખર્ચને અટકાવવા અને તે રકમનો ઉપયોગ દીકરા-દીકરીઓના શિક્ષણ તથા ઉજ્જવળ ભવિષ્ય માટે થાય તે હેતુથી વર્ષોથી સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ 7મો સમૂહલગ્ન સમાજના દરેક વર્ગના લોકોના સહકારથી સફળ બન્યો છે. આ કાર્યક્રમમાં આર્થિક સ્થિતિના કોઈ ભેદભાવ વિના તમામ પરિવારો સમાન ગૌરવ સાથે જોડાયા હતા, જે સમાજની સંગઠનશક્તિ અને સમાનતાની ભાવના દર્શાવે છે. સમૂહલગ્ન પ્રસંગે આહીર સમાજના જિલ્લાભરના આગેવાનો, સાધુ-સંતો, વરિષ્ઠો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ ઉપસ્થિતિ આપી નવયુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા. આ ભવ્ય સમારંભમાં અંદાજે 15 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે સમાજના એકત્વના સાક્ષી બની એકસાથે ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો. વ્યવસ્થિત આયોજન અને શિસ્તબદ્ધ વ્યવસ્થાને કારણે સમગ્ર કાર્યક્રમ સુચારુ રીતે પાર પડ્યો. આ વિશાળ સામાજિક કાર્યક્રમને સફળ બનાવવા માટે લોઢવા ગામના યુવાનોની નિષ્ઠાપૂર્વકની મહેનત અને સેવાભાવ પ્રશંસનીય રહ્યો. આયોજનથી લઈને વ્યવસ્થા, સ્વાગત, ભોજન અને સંચાલન સુધી યુવાનોએ જવાબદારીપૂર્વક કામગીરી કરી હતી. આહીર સમાજ દ્વારા યોજાતા આવા સમૂહલગ્નો માત્ર લગ્ન પ્રસંગ નથી, પરંતુ સમાજને સાચી દિશામાં આગળ લઈ જતું એક પ્રેરણાદાયક આંદોલન છે, જે આવનારી પેઢીને સાદગી, સંસ્કાર અને એકતાનું મૂલ્ય શીખવે છે.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આજે ખાસ કન્ફેક્શનરી સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં કન્ફેક્શનરી ફૂડ કેટેગરીમાં આવતી ચોકલેટ, કેન્ડી અને ટ્રીફલ્સ જેવી ચીજવસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાંથી પ્રીમિયમ ક્વોલિટીની ગણાતી અને આકર્ષક પેકિંગમાં વેચાતી કુલ 14 જેટલી વિદેશી અને સ્વદેશી બ્રાન્ડની મોંઘીદાટ ચોકલેટ તથા અન્ય વસ્તુના નમૂનાઓ લેવામાં આવ્યા છે. આ નમૂનાઓને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, તેમાં વપરાતા રંગો અને અન્ય ઘટકો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કે કેમ તેની ખાતરી કરી જો ભેળસેળ સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ફૂડ વિભાગે લીધેલા નમૂનાઓની વિગત - NYRA ELENZA COLOURFUL CHOCOLET MIX (262.5 G. PACK): રામનાથપરા મેઇન રોડ પર આવેલ લક્ષ્મી સ્ટોરમાંથી આ નમૂનો લેવામાં આવ્યો હતો. - NYRA VALENTINE TRUFFLES MILK CHOCO (275 G. PACK): લક્ષ્મી સ્ટોર, રામનાથપરા મેઇન રોડ પરથી તપાસ અર્થે સેમ્પલ લેવાયું. - CHOCOTOWN DUBAI CHOCOLET CENTER FILL MILK BAR (300 G. PACK): લક્ષ્મી સ્ટોર ખાતેથી જ આ ત્રીજો નમૂનો લેવામાં આવ્યો હતો. - T-CON GOLD CELEBRATION PACK (300 G. PACK): જૂના મોરબી રોડ પર આવેલ ગુરુકૃપા સિઝન સ્ટોરમાંથી આ પેક લેવામાં આવ્યું. -KEVIN GOLD DARK STYLE (100 UNITS PACK): ગુરુકૃપા સિઝન સ્ટોર, જૂનો મોરબી રોડ પરથી ડાર્ક ચોકલેટનું સેમ્પલ લેવાયું. - DAZZY TORNUTTE COCONUT FILL BAR (450 G. PACK): ગુરુકૃપા સિઝન સ્ટોર ખાતેથી કોકોનટ બારના નમૂના લેવાયા. - FUNBON CHOCO ORANGE CREAMY CHOCOFILLED CANDY (608 G. PACK): મોચી બજારમાં આવેલ તુલસી એન્ટરપ્રાઇઝમાંથી આ નમૂનો લેવાયો. - FUNBON ECLAIRS CREAMY CHOCOFILLED CANDY (608 G. PACK): તુલસી એન્ટરપ્રાઇઝ, મોચી બજારમાંથી સેમ્પલ મેળવાયું. - SUMMY MAZEDAR MANGO CENTER FILLED CANDY (700 G. PACK): તુલસી એન્ટરપ્રાઇઝ ખાતેથી મેન્ગો કેન્ડીનો નમૂનો લેવાયો. - SUMMY MANGO TONE LOVE CANDY (700 G PACK): આ નમૂનો પણ તુલસી એન્ટરપ્રાઇઝ, મોચી બજારમાંથી જ લેવામાં આવ્યો છે. - NYRA VALENTINE TRUFFLES MILK CHOCO (275 G PACK): તુલસી એન્ટરપ્રાઇઝમાંથી આ બ્રાન્ડનું વધુ એક પેક ચેકિંગમાં લેવાયું. - T-CON DREAMLAND PREMIUM MILK CHOCO (325 G PACK): તુલસી એન્ટરપ્રાઇઝ ખાતેથી પ્રીમિયમ મિલ્ક ચોકલેટનો નમૂનો લેવાયો. - CANDYLAKE TRU LUX TRUFFLE (200GM. PKD.): રામનાથપરા શેરી નં. 01 માં આવેલ શ્રી લક્ષ્મી સિઝન સ્ટોરમાંથી આ સેમ્પલ લેવાયું. - CINTU ROSELLA ROASE FLAVOURED CHOCO HEARTS (325GM PKD.): શ્રી લક્ષ્મી સિઝન સ્ટોર ખાતેથી ગુલાબના ફ્લેવરવાળી આ ચોકલેટના નમૂના લેવાયા. જીવરાજ પાર્ક વિસ્તારમાં 20 ધંધાર્થીઓની તપાસ નમૂના લેવાની કામગીરીની સાથે સાથે ફૂડ વિભાગની ટીમ દ્વારા FSW (ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ) વાન સાથે શહેરના જીવરાજ પાર્ક મેઇન રોડ વિસ્તારમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન કુલ 20 ખાદ્ય પદાર્થના ધંધાર્થીઓના સ્થળ પર જઈને સ્વચ્છતા અને કાયદેસરતાની ચકાસણી કરવામાં આવી હતી.તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે અનેક વેપારીઓ પાસે યોગ્ય ફૂડ લાઈસન્સનો અભાવ છે. આ બાબતે ફૂડ વિભાગે કડક વલણ અપનાવીને કુલ 11 ધંધાર્થીઓને વહેલી તકે લાઈસન્સ મેળવી લેવા માટે સૂચના આપી નોટિસ ફટકારી હતી. આ ઉપરાંત, મોબાઈલ ટેસ્ટિંગ લેબ દ્વારા સ્થળ પર જ વિવિધ ખાદ્ય ચીજોના કુલ 15 નમૂનાઓની પ્રાથમિક ચકાસણી કરવામાં આવી હતી.
પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે આ ત્રણ જિલ્લાઓ માટે ₹5490 કરોડની નર્મદા આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાજ્યસભા સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારના સતત પ્રયાસોના પરિણામે આ યોજનાને મંજૂરી મળી છે. ડૉ. જશવંતસિંહ પરમારે ડિસેમ્બર-૨૦૨૪ થી આ યોજના માટે સતત રજૂઆતો કરી હતી. તેમણે જિલ્લા સ્તરના અધિકારીઓ, ટેક્નિકલ નિષ્ણાતો અને રાજ્યના ઉચ્ચ નેતૃત્વ સાથે અનેક બેઠકો અને ચર્ચાઓ કરી હતી. આ પ્રયાસોના ફળસ્વરૂપે ખેડૂતોના હિતમાં આ મોટો સંકલ્પ વાસ્તવિકતા બનવા જઈ રહ્યો છે. આ મહાયોજના અંતર્ગત નર્મદા નદીના પાણીને છેવાડાના ગામડાંઓ સુધી પહોંચાડવાનું આયોજન છે. અંદાજે ૧,૭૪૭ કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા ગામડાંઓ સુધી પાણી પહોંચાડવામાં આવશે. પાણીના વહન માટે નહેર પર ૧૦ આધુનિક પમ્પિંગ સ્ટેશનો સ્થાપિત કરવામાં આવશે. આ યોજના દ્વારા ૧૯૬.૫૫ એમ.સી.એમ. (મિલિયન ક્યુબિક મીટર) નર્મદા જળનો ઉપયોગ કરવામાં આવશે. આ યોજનાથી વિસ્તારના ૯૧૨ તળાવો, ૩ મોટા ડેમ અને ૧,૨૩૨ ચેકડેમોને નર્મદાના પાણીથી ભરવામાં આવશે. આ યોજના કાર્યરત થવાથી પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે. તેનાથી ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે અને કૃષિ ઉપજમાં નોંધપાત્ર વધારો થશે. આ આર્થિક સમૃદ્ધિ આદિવાસી અને પછાત વિસ્તારોના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

30 C