વેધર રિપોર્ટ:ભાવનગરમાં તાપમાન 33.4 ડિગ્રી થતા ઉનાળાના આરંભની ગરમી
ભાવનગર શહેરમાં આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા તેની અસર હેઠળ મહત્તમ તાપમાન વધીને 33.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા ગરમીનું પ્રમાણ વધ્યું હતુ. શહેરમાં હવે શિયાળાની વિદાઇનો તબક્કો આવી ગયો છે. મધ્ય ઉત્તર પ્રદેશથી પૂર્વ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત સુધી ટ્રફ (ભેજની પટ્ટી)ની સિસ્ટમ સક્રિય છે, જેની અસરોથી લોકોએ બપોર પછી ગરમી અને બફારાનો અનુભવ કર્યો હતો. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન હતુ તે આજે 2.4 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 33.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ જેથી બપોરના સમયે થોડી ગરમીનો અનુભવ શહેરીજનોને થયો હતો. 24 કલાક અગાઉ લઘુત્તમ ઉષ્ણતામાન 22.4 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે ઘટીને 21 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. ભાવનગર શહેરમાં આજે સવારના સમયે હવામાં ભેજનું પ્રમાણ 78 ટકા હતુ તે આજે સાંજે 37 ટકા થઇ ગયું હતુ. આજે સવારે પવનની ઝડપ 10 કિલોમીટર હતી તે ઝડપ સાંજે ઘટીને 8 કિલોમીટર જેવી નોંધાઇ હતી. જ્યારે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય છે, ત્યારે ગરમી વધે છે અને પસાર થયા બાદ ઠંડકમાં વધારો થાય છે.
હુમલો:શાક માર્કેટમાં સામુ જોવા જેવી નજીવી બાબતે ધોકા વડે હુમલો
ભાવનગર શહેરના રેલવે મેડિકલ કોલોની પાસે દેસાઈ નગરમાં રહેતા રાજભાઈ રાજેશકુમાર રાજ્યગુરૂએ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેઓ તા. 19/2 ના રોજ પોતાના મોટાભાઈ સાથે શાક માર્કેટમાં ગયા હતા જ્યાં બે શખ્સોએ માત્ર સામું જોવા જેવી નજીવી બાબતે ધોકા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. ગંગાજળિયા પોલીસ સ્ટેશન માં નોંધાયેલી ફરિયાદ માં જણાવ્યા અનુસાર રાજભાઈ રાજેશકુમાર રાજ્યગુરુ પોતાના મોટાભાઈ જય ભાઈ સાથે પોતાનું સ્કૂટર લઈ તળાવમાં આવેલા શાક માર્કેટમાં શાક બકાલુ લેવા ગયા હતા કૈલાશ લસ્સી ની દુકાન પાસે પોતાનું સ્કૂટર રાખી ઉભા હતા અને તેના ભાઈ શાક બકાલુ લેવા ગયા હતા. તે વેળાએ તેના સ્કૂટરની સામેની બાજુ ઉભેલા એક શખ્સ સામે ભૂલથી જોવાય જતા તે શખ્સ અને તેની સાથે આવેલો શખ્સ બંનેએ રાજ ભાઈનો કાઠલો પકડી સામે કેમ જોવે છો તેમ કહી ગાળો બોલવા લાગેલ. ત્યારે બંને શખ્સો એકબીજાનું નામ આસીબ અને ઇમરાન નામે બોલાવતા હતા અને ધોકા વડે રાજ ભાઈના હાથ અને માથાના ભાગે મારતા લોહી નીકળવા લાગ્યું હતું જ્યાં દેકારો થતાં લોકો ભેગા થઈ ગયા હતા. આ આસિબ અને ઇમરાન બંને ભાગી ગયા હતા જેથી જય ભાઈને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં પોલીસે શાક માર્કેટમાં થયેલા હુમલાની ઘટનાને લઇ પોલીસ ફરિયાદ નોંધી વધુ તજવીજ હાથ ધરી હતી.
ભાવનગર યુનિ.નો દીક્ષાંત સમારોહ યોજાયો:29 માર્ચે 12,707 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે
તા.29 માર્ચે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો દીક્ષાંત સમારોહ યોજાશે અને જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે 12,707 વિદ્યાર્થીઓને પદવી એનાયત થશે. આ સમગ્ર આયોજનની કમાન મહિલા શક્તિના હાથમાં રહેશે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે આજે વાઇસ ચાન્સેલરના અધ્યક્ષ સ્થાને પદવીદાન સમારંભના આયોજન અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વાઈસ ચાન્સેલરના માર્ગદર્શન હેઠળ આગામી પદવીદાન સમારંભની તારીખ અને રૂપરેખા જાહેર કરવામાં આવી છે. રાજ્યના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ના વરદ હસ્તે આગામી 29 માર્ચના રોજ આ ભવ્ય દીક્ષાંત સમારોહ યોજવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા આ વર્ષે કુલ 12,707 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે, જેમાં 10,396 જૂના ડિગ્રીધારકો તથા ચાલુ વર્ષના 2,311 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ સમારંભની સૌથી વિશેષ બાબત એ છે કે તેની તમામ પાયાની તૈયારીઓ, આયોજન અને વ્યવસ્થાપન મહિલા મોરચા દ્વારા સંભાળવામાં આવી રહ્યું છે. સમગ્ર કાર્યક્રમનું સુકાન મહિલા પ્રતિનિધિઓના હાથમાં હોવું એ યુનિવર્સિટી માટે ગૌરવની ક્ષણ છે. આજરોજ યોજાયેલી તમામ કો-ઓર્ડીનેટરોની બેઠકમાં અત્યાર સુધી થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી અને રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા. રાજ્યપાલના આગમનને ધ્યાનમાં રાખીને સુરક્ષા, બેઠક વ્યવસ્થા અને કાર્યક્રમની ગરિમા જળવાય તે રીતે કામગીરીની વહેંચણી કરી આખરી ઓપ આપવામાં આવ્યો છે. મહિલા શક્તિના નેતૃત્વમાં આ કાર્યક્રમ ઐતિહાસિક અને યાદગાર બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ભરતી મેળાનું આયોજન કરાયું:યુનિ. રોજગાર કેન્દ્ર દ્વારા તારીખ 24 ફેબ્રુઆરીએ ભરતી મેળાનું આયોજન
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર દ્વારા ૨૪ ફેબ્રુઆરીએ ભરતી મેળાનું આયોજન કરાયું છે. એન્જીનીંયર, ક્યુ.સી એન્જીનીંયર, પ્લાન એન્જીનીંયર બનવાની ઉમદા તક છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે ભાવનગર યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્રનો સંપર્ક કરવો. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર દ્વારા તા.24 ફેબ્રુઆરીને મંગળવારે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એફ 4/6, એનેક્સી બિલ્ડિંગ, બહુમાળી ભવન ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત 5 એકમમાં એન્જીનીંયર, ક્યુ.સી એન્જીનીંયર, પ્લાન એન્જીનીંયર, સુપરવાઈઝર, એસ.આર, એકાઉન્ટન, એકાઉન્ટન આસી.ફિલ્ડ સેલ્સ ઓફિસર, બ્રાંચ ડેવલોપર, ડ્રાફટ્મેન મીકેનિકલ, પેટર્ન શોપ સુપરવાઈઝર, એક્ઝિક્યુટિવની જગ્યા ભરવાની છે. જેમાં બી.ઈ મીકેનીકલ, બી.ઈ પ્રોડક્શન, એમ.કોમ, એમ.બી.એ, એમ.એસ.એસ.ડબલ્યુ, બી.કોમ, આઈ.ટી.આઈ, ડીપ્લોમા એગ્રીકલસર, ડીપ્લોમા એન્જીનીંયર, ની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાચ્છુઓને જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એફ 4/6, એનેક્સી બિલ્ડિંગ, બહુમાળી ભવન, ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે ૫ રિઝ્યુમની નકલો સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવું,તેમ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી રોજગાર કેન્દ્ર દ્વારા જણાવ્યું છે.
બોર્ડની પરીક્ષા:ભાવનગરમાં બોર્ડની પરીક્ષામાં કુલ 123 રાઇટરને મંજૂરી આપવામાં આવી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો આરંભ 26 ફેબ્રુઆરીથી થઈ રહ્યો છે ત્યારે આજે ભાવનગર શહેરમાં કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા વિદ્યાનગર ખાતે દિવ્યાંગ અને વિકલાંગ પરીક્ષાાર્થીઓ માટે લઈ આ એટલે કે રાઇટર અને વાચકની મંજૂરી માટેનો કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં ધોરણ 10 અને ધોરણ 12 ના કુલ મળીને 123 રાઇટરને પૂર્ણપણે તબીબી ચકાસણી કરીને મંજૂરી આપવામાં આવી હતી. આજે અંધ ઉદ્યોગ શાળા ખાતે રાઇટર માટે કેમ્પ યોજાયો તેમાં દ્રષ્ટિક્ષતિવાળા 54, બૌદ્ધિક અસમર્થતાવાળા 39, લર્નિંગ ડિસેબીલીટી ધરાવતા 10, બહુ વીકલાંગતા ધરાવતા 8, હલનચલનની અક્ષમતાવાળા 4, અકસ્માત, ઇજા કે ફ્રેકચરવાળા 2 અને સેરેબ્રલ પાલ્સીના 6 પરીક્ષાર્થી મળીને કુલ 123 પરીક્ષાર્થીને રાઇટરની સુવિધા આપવામાં આવી છે. આ વર્ષથી રાઇટર સાથેના પરીક્ષાર્થીને દર એક કલાકની પરીક્ષામાં 20 મિનિટ એટલે કે 3 કલાકની બોર્ડની પરીક્ષામાં એક કલાક વધુ મળશે. આજે ભાવનગરની રસ તખ્તસિંહજી હોસ્પિટલના આર.એમ.ઓ. ડો.મુકેશભાઇ શાહની ડોકટરની ટીમમાં ડો.રસિક શિયાળ, ડો.જિનેશ પરમાર, ડો.સચિન મહેતા, ડો.પૂજા ગોહેલ, ડો.પૂર્ણિમા અને ડો.અધિશભાઇ ત્રિવેદીએ સવારના 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી દિવ્યાંગ વિદ્યાર્થીઓની તપાસ કરી કામગીરી બજાવી હતી. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના દિલીપભાઇ સોલંકી અને વિક્રમસિંહ પરમાર તેમજ બોર્ડના પ્રતિનિધિ રાજુભાઇ ભટ્ટે આજના કેમ્પ દરમિયાન કુલ 123 રાઇટરને મંજૂરી આપી હતી. દિવ્યાંગો માટે ગ્રાઉન્ડ ફ્લોર પર બેઠક વ્યવસ્થાદિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્રો ખાતે કેટલીક વિશેષ સુવિધાઓ આપવામાં આવશે જેમાં દિવ્યાંગ પરીક્ષાર્થી નજીક હોય તેવું પરીક્ષા સેન્ટર ફાળવાશે અને તે માટે વ્યવસ્થા કરાશે ઉપરાંત દિવ્યાંગ પરીક્ષાથી માટે ગ્રાઉન્ડ ફ્લોર પર બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવશે, દિવ્યાંગ પરીક્ષાર્થીને અનુરૂપ ફર્નિચર જેમકે બેક ચેર ડેસ્ક ટેબલ વગેરે તેમજ સુગમ્ય શૌચાલય યુક્ત સુવિધા વાળું કેન્દ્ર હોય તેની કાળજી રાખવામાં આવશે જેથી જિલ્લામાં ભૌતિક સુવિધા ધરાવતી કાર્યરત વિશિષ્ટ શાળાઓને પણ પરીક્ષા કેન્દ્ર તરીકે રાખી શકાશે અને વિશિષ્ટ શિક્ષકોને સાંકળીને જવાબદારી સોંપી શકાશે.
મંદિરમાં ચોરી:સણોસરામાં એક જ રાતે બે મંદિરોની દાનપેટી તૂટી, રૂપિયા 22 હજારની ચોરીથી ખળભળાટ
ભાવનગર જિલ્લાના સણોસરા ગામે એક જ રાત્રી દરમિયાન બે મંદિરોની દાનપેટીના તાળા તોડી અજાણ્યા તસ્કરો દ્વારા કુલ રૂ. 22 હજારની ચોરી કરાતા ગામમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ધાર્મિક આસ્થાના કેન્દ્રસ્થાનોમાં થયેલી આ ઘટનાથી ગ્રામજનોમાં રોષની લાગણી વ્યાપી છે અને પોલીસ તંત્રએ સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે. સણોસરા લોકભારતી રોડ, જલારામ નગર ખાતે રહેતા નાગજીભાઈ ખોડાભાઈ ડાભીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ જણાવ્યું હતું કે ગામમાં આવેલા રામદેવપીર મંદિર ખાતે રામામંડળ કાર્યરત છે, જ્યાં મંદિરની આવક તથા આખ્યાનના રૂપિયા આવતાં હોય છે અને તેનો વહીવટ નાગજીભાઈ તથા ઉકાભાઈ કરસનભાઈ ચૌહાણ સંભાળે છે. મંદિરના ગર્ભગૃહની બહાર નાની દાનપેટી મુકવામાં આવી છે. તા. 19/02/2026ના રોજ મંદિરે રામદેવપીરની દેગ પ્રસંગે રાત્રે પોણા એક વાગ્યા સુધી આશરે 300 જેટલા શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા, ત્યારબાદ સૌ પોતાના ઘરે પરત ફરી ગયા હતા. વહેલી સવારે ઉકાભાઈએ નાગજીભાઈને જાણ કરી કે મંદિરમાં ચોરી થઈ છે. મંદિર ખાતે પહોંચતા જાણવા મળ્યું કે કચરા-પોતા કરવા આવતા બહેનએ મંદિરનું પ્રવેશ તાજ દાનપેટી તૂટેલી હાલતમાં જોઈ હતી અને સિક્કા વેરવિખેર પડેલા હતા. તરત જ વહીવટદારોને જાણ કરવામાં આવી હતી. મંદિરના સીસીટીવી કેમેરાની તપાસ કરતા બે અજાણ્યા ઇસમો દાનપેટીમાંથી અંદાજે રૂ. 20 હજાર લઈ જતા દેખાયા હતા. ગામમાં આવેલા ખોડીયાર માતા મંદિરની દાનપેટી તોડી તેમાં રહેલા 2 હજારની ચોરી કરાયાનું ગામના ગોબરભાઈ રાણાભાઈ સાંબટે જણાવ્યું હતું. એક જ ગામમાં એક જ રાત્રે બનેલી આ બે ચોરીની ઘટનાઓને લઈ ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. નાગજીભાઈ તથા ગોબરભાઈએ સણોસરા પોલીસ સ્ટેશનમાં બંને મંદિરોમાંથી રૂ. 22 હજારની ચોરીની સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસ તંત્રએ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ માટે તપાસનો ધમધમતો ચક્ર ગતિમાન કરી ચોરો ને ઝડપવા ગામજનો એ જણાવ્યું હતું.
જાહેરનામું પ્રસિદ્ધ કરાયું:પચ્છેગામના કાર્યક્રમોને લઈ ટ્રાફિક નિયંત્રણનું જાહેરનામું
વલભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે શ્રી મુરલીધર ભગવાનના નીજ મંદિરમાં ભાગવત કથા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તા.26મી ફેબ્રુઆરી-2026થી 1લી માર્ચ-2026 સુધી 551 કુંડી મહા વિષ્ણુયાજ્ઞ, આગામી તા.22મી ફેબ્રુઆરી-2026થી 1લી માર્ચ-2026 દરમ્યાન પચ્છેગામ ખાતે શ્રી મુરલીધર ભગવાનના નીજ મંદિરમાં ભાગવત કથા તથા તા.26મી ફેબ્રુઆરી-2026ના પચ્છેગામ પધારનાર સંત લાલબાપુની નગર યાત્રા અને ભગવાનશ્રી મુરલીધર દાદાની નગર ચર્ચાના કાર્યક્રમોને લઈ ટ્રાફિક નિયંત્રણના ભાગરૂપે તા.22મી ફેબ્રુઆરી-2026થી 1લી માર્ચ-2026 સુધી જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. ટ્રાફિક નિયંત્રણના ભાગરૂપે તા.22મી ફેબ્રુઆરી-2026થી 1લી માર્ચ-2026 સુધી લાગુ કરાયેલા જાહેરનામા અનુસાર વલભીપુરથી પચ્છેગામથી કંથારીયા તરફ જતા વાહનોને પ્રવેશ રહેશે. તેમજ સામેથી આવતા વાહનોને કંથારીયાથી પ્રવેશ પ્રતિબંધ રહેશે. તેમજ ડાયવર્ઝન રૂટમાં કંથારીયાથી વલભીપુર જવા માટે રાજપરા-જાળીયા-નવાણીયા-કાનપર ગામ થઈને અમદાવાદ હાઈવેથી વલભીપુર જવાનું રહેશે. પચ્છેગામથી વલભીપુર જવા ટુ વ્હિલ અને ફોર વ્હિલોને ખેતરના (ખેતર માર્ગ કાચો રસ્તો) 3 કી.મી રસ્તા પરથી થઈને લાખણકા ગામના પાટિયા પાસે અમદાવાદ હાઈવેથી વલભીપુર જવાનું રહેશે. પચ્છેગામ કથામાં આવતા હેવી વાહનોમાં પચ્છેગામથી વલભીપુર જવા માટે કંથારીયા-રાજપરા-જાળીયા-નવાણીયા-કાનપર ગામ થઈને અમદાવાદ હાઈવેથી વલભીપુર જવાનું રહેશે. આ ઉપરાંત લીમડા ગામના ઢાળથી કંથારીયા તરફ જતા વાહનોને પ્રવેશ રહેશે અને સામેથી આવતા વાહનોને લીમડા ગામના ઢાળ તરફ પ્રવેશ કરવો નહિ. ડાયવર્ઝન રૂટમાં ટુ વ્હિલ અને ફોર વ્હિલોને નહેર (નહેર માર્ગ કાચો રસ્તો )નો 3 કી.મી રસ્તા પર થઈને સાલપરા ગામના પાટિયા પાસે અમદાવાદ હાઈવેથી વલભીપુર જવાનું રહેશે. ઉમરાળાથી વલભીપુર હાઇવે પર રાજસ્થળી ગામના પાટીયેથી વાવડી ગામ થઈને હળીયાદ ચોકડી થઈને પચ્છેગામ તરફ જતા વાહનોને પ્રવેશ રહેશે અને પચ્છેગામ તરફથી આવતા વાહનો તેમજ વાવડી થઈને ઉમરાળાથી વલભીપુર હાઇવે થઈને જતા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. તેમજ ડાયવર્ઝન રૂટમાં ટુ વ્હિલ અને ફોર વ્હિલોને કંથારીયા-ખેતાટીંબી-નવાગામ-હળીયાદ ચોકડી-વડોદ ગામ થઈ બોટાદ હાઈવેથી જવું પડશે. ઉપરાંત ટુ વ્હિલ અને ફોર વ્હિલ માટે તથા રૂટના હેવી વાહનો માટે કંથારીયા-રાજપરા-જુનારતનપર- કાળાતળાવ-દરેડ થઈ બોટાદ હાઈવેથી જવાનું રહેશે. આ જાહેરનામામાં થી સરકારી ફરજ માટે વાહનો, ફાયર બ્રીગેડ અને એમ્બ્યુલન્સને મુક્તિ અપાઈ છે. ધાર્મિક કાર્યક્રમને લઈને એસ.ટી.બસ સુવિધાવલભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે શ્રી મોરલીધર દાદા ના નિજ મંદિર પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ભાગ લેનારા લોકો માટે ભાવનગર એસ.ટી વિભાગ દ્વારા ખાસ વધારાની એસ.ટી.બસો દોડાવવાનું આયોજન કરાયું છે. જેમાં પ્રવેશોત્સવ દરમિયાન તા.22મી ફેબ્રુઆરી-2026થી 1લી માર્ચ-2026 સુધી દરમિયાન કાળિયાબીડ, ભાવનગર એસ.ટી. ડેપો, તળાજા એસ.ટી. ડેપો અને મહુવા એસ.ટી. ડેપોથી ખાસ વધારાની એસ.ટી.બસ ફાળવવામાં આવી છે.
રાજકારણ ગરમાયું:વાઘાવાડી રોડ પરથી આપના બોર્ડ બેનર હટાવતા વિવાદ
ભાવનગર ખાતે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન અને પચ્છેગામ ખાતે ધાર્મિક કાર્યક્રમ માટે આવેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય આગેવાનોના લગાવેલા હોર્ડિંગ અને બેનર કોર્પો. દ્વારા વાઘાવાડી રોડ પરથી હટાવતા વિવાદ સર્જાયો હતો અને સ્થળ પર આપના ધારાસભ્યએ જઈ ચડી કર્મચારીઓનો ઉધડો લીધો હતો. આવતીકાલ રવિવારે જવાહર મેદાનમાં યોજાનાર સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન અને વલભીપુર પચ્છેગામ ખાતે યોજાનાર મુરલીધરજી ભગવાનના નિજ મંદિર પ્રવેશોત્સવના સમારોહમાં ઉપસ્થિતિ માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન આજે ભાવનગર આવ્યા છે. તેઓના આવકાર માટે શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા જાહેર સ્થળો અને માર્ગો પર આપના નેતાના ફોટા સાથેના બોર્ડ બેનર લગાવ્યા છે. મંજૂરી વગરના લગાવેલા બોર્ડ બેનર મોડી સાંજે કોર્પો. દ્વારા શહેરના વાઘાવાડી રોડ પરથી હટાવતા વિવાદ થયો હતો. વાઘાવાડી રોડ પર આપ દ્વારા લગાવેલ બેનર હટાવતા સ્થળ પર આપના ધારાસભ્ય અને રાષ્ટ્રીય નેતા ગોપાલ ઇટાલીયા દોડી ગયા હતા. જ્યાં ભાજપની તાનાશાહી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને બોર્ડ બેનર ઉતારતા કર્મચારીઓનો ઉધડો લીધો હતો.
બાળકોને ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહે તે માટે સરકાર દ્વારા નિત નવા પ્રયોગો કરવામાં આવતા હોય છે અને તેની માટે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 પણ બનાવવામાં આવ્યો છે. પરંતુ તેમાં પણ રાજ્યમાં જુદા જુદા જિલ્લા શિક્ષણાધિકારીઓની મનમાની મુજબના નિર્ણયો લેવામાં આવતા હોય છે. દેવભૂમિ દ્વારકા અને ગાંધીનગરમાં HTAT ના મુખ્ય શિક્ષકોને બોર્ડની પરીક્ષાલક્ષી કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવી છે જ્યારે ભાવનગર જિલ્લાની પ્રાથમિક શાળાના 146 મુખ્ય શિક્ષકોને જવાબદારીના હુકમ કરાયા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાતી એચએસસી અને એસએસસી બોર્ડ પરીક્ષામાં સામાન્ય રીતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ અને સરકારી શાળાના શિક્ષકોને જવાબદારી સોપવામાં આવે તે યોગ્ય છે. જો તેમાં સ્ટાફની ઘટ હોય તો નગર પ્રાથમિક અને જિલ્લા પંચાયતના પ્રાથમિક શિક્ષકોને જવાબદારી સોપે તે પણ સ્વીકાર્ય છે. પરંતુ હવે માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ અને સરકારીમાં પુરતી ભરતી થઈ ગયેલ છે અને વર્ગ-2 ની જગ્યા પણ તમામ ભરેલ હોવા છતાં ભાવનગર જિલ્લા શિક્ષણ અધિકારીએ કોર્પોરેશનની પ્રાથમિક શાળામાંથી 44 મુખ્ય શિક્ષક (HTAT) અને જિલ્લા પંચાયતની પ્રાથમિક શાળામાંથી 102 મુખ્ય શિક્ષક (HTAT)ને આગામી બોર્ડની પરીક્ષા માટે સરકારી પ્રતિનિધિ તરીકે નિમણૂકના ઓર્ડર કર્યા છે. અગાઉ પણ શિક્ષક સંઘ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત પણ કરી હતી. તેમ છતાં રજૂઆતને ધ્યાને લીધા વગર હુકમો કરવામાં આવ્યા છે. પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકોને સરકારી પ્રતિનિધિની જવાબદારી સોંપવાને કારણે શાળાનો રોજિંદો વહીવટ ખોરવાઈ શકે છે, નાણાકીય અને શૈક્ષણિક નિર્ણયો તેમજ કામગીરીમાં વિલંબ થઈ શકે છે. જે બાબતે ગાંધીનગર અને દેવભૂમિ દ્વારકામાં રજૂઆતને લઈ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકોને સરકારી પ્રતિનિધિ માંથી મુક્તિ આપવામાં આવી છે. ભાવનગરમાં મુખ્ય શિક્ષકોને મુક્તિ માટે નિર્ણય લેવાયો નથી.
હુમલો:દિવાલના પ્લાસ્ટર મુદ્દે એક પાડોશીનો બીજા પાડોશી પર કરાયેલો હુમલો
મહુવા તાલુકાના કતપર ગામમાં પડોશી વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક પરિવાર પર સામૂહિક હુમલો થયાની ઘટના સામે આવી હતી. પ્લાસ્ટર કામને લઈ થયેલી બોલાચાલી પળવારમાં અથડામણમાં ફેરવાઈ ગઈ હતી અને લોખંડના પાઇપ, લાકડાના ધોકા તેમજ ઈંટ-પથ્થરોથી પ્રહાર કરવામાં આવ્યા હતા, જેમાં એક જ પરિવારના સભ્યોને ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક મહુવા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે મહુવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. મળતી માહિતી અનુસાર કતપર ગામમાં રહેતા પરેશભાઈ કાળુભાઈ શિયાળ સવારના સમયે પોતાના ઘરે પરિવાર સાથે હાજર હતા, ત્યારે પાડોશમાં રહેતા ભરતભાઈ સુખાભાઈ બારૈયા તથા તેમના પરિવારજનો ઘર પાછળ આવેલી દીવાલ પર પ્લાસ્ટર કરાવવાના મુદ્દે તેમના ફળિયામાં આવ્યા હતા. પ્લાસ્ટર તો કરાવવાનું જ છે, થાય તે કરી લેજો જેવી ધમકીભરી ભાષા વાપરતાં વાતાવરણ તણાવપૂર્ણ બન્યું હતું. પરેશભાઈએ ગાળો બોલવાની ના પાડતાં આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ભરત સુખાભાઈ બારૈયા, જયાબેન ભરતભાઈ બારૈયા, વિપુલ ભરતભાઈ બારૈયા તથા ધનજી ભરતભાઈ બારૈયાએ એકજૂથ થઈ હુમલો કરી પરેશભાઈ તથા તેમના પરિવારજનોને ઇજાગ્રસ્ત કર્યા હતા. જેથી તેઓને સારવાર અર્થે મહુવાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પોલીસે આ બનાવની ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી હતી.
સન્ડે ફોટો સ્ટોરી:શોર્ય રંગથી ઝળહળતા આકાશ નીચે મોખડાજીનો યુદ્ધ ટંકાર
જેઓના ઘડે, વગર માથાએ આઠ દિવસ સુધી લડી તુઘલકની સેનાનો કચ્ચરઘાણ વાળ્યો હતો એવા મહા વીર મોખડાજીની શૌર્યગાથા સાંભળી આજે પણ શોર્ય રસ રગોમાં વહેતો થવા લાગે છે. ત્યારે શૂરવીરતાના કેસરી રંગ ધારણ કરેલી સંધ્યા સમયે ક્લિક કરવામાં આવેલી તસવીરમાં ભાવનગરના મોખડાજી સર્કલ ખાતે સ્થિત તેની જીવંત લાગતી પ્રતિમા ઇતિહાસને ફરી જીવંત કરી રહી છે.અશ્વ પર સવાર વીર મોખડાજી તલવાર ઉગામી ચડાઈ કરવા તત્પર હોય એમ ભાસે છે.
લાલબત્તી સમાન કિસ્સા:ફટાકડાથી એક મહિનામાં ચારને એક આંખે અંધાપો
આજકાલ લગ્ન પ્રસંગમાં શાન-શૌકત બતાવવા માટે ભારે અવાજવાળા અને આગવાળા ફટાકડાનો ઉપયોગ વધ્યો છે, જેના કારણે ભાવનગર શહેર અને જિલ્લામાં દિવાળીના તહેવારોની માફક લગ્નસરાની સિઝનમાં ફટાકડાથી સર્જાતી દુર્ઘટનાઓમાં વધારો થયો છે ત્યારે તાજેતરમાં લગ્નસરાની સિઝનમાં ફટાકડાથી સર્જાયેલી દુર્ઘટનાઓમાં છેલ્લા એક મહિનામાં ચાર લોકોને પોતાની એક આંખ ગુમાવવી પડી છે. લગ્નસરાની સિઝનમાં ફટાકડાથી સર્જાતી દુર્ઘટનાઓના સિલસિલામાં ગઈકાલે તા.20મીને શુક્રવારે રાત્રે 10 વાગ્યાના અરસામાં ચિત્રા વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં દાંડિયારાસનું આયોજન કરાયું હતું. દાંડિયારાસની રમઝટ સાથે ફટાકડા ફોડી કરાતી આતશબાજીમાં દુર્ઘટના બની હતી. જેમાં આકાશમાં ફૂટતાં સ્કાય શોટ નીચે જ ફૂટી જતા દાંડિયારાસનો આનંદ માણી રહેલા લોકો લપેટમાં આવ્યા હતા. જેમાં 10 વર્ષના માસુમ બાળકની ડાબી આંખ ફૂટી જતા લોહીની ધારાવાડી સાથે શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર્થે ખસેડાયો હતો. તબીબોના અથાગ પ્રયાસો બાદ પણ માસુમની આંખને બચાવી શકાય ન હતી ત્યારે એક ભૂલને કારણે નિર્દોષ બાળકને એક આંખે જીંદગીભર અંધાપો આવી આવી ગયો છે. ચિત્રા વિસ્તારની ઘટના સહિત છેલ્લા એક મહિનામાં લગ્નમાં ફટાકડાથી સર્જાયેલી દુર્ઘટનાના 4 કિસ્સામાં 10 વર્ષના બાળક ઉપરાંત 20થી 28 વર્ષની વયના 3 યુવાનોએ પોતાની એક આંખ ગુમાવી છે. આંખની તત્કાલ સારવાર કરવી ખુબ જરૂરી છેદિવાળીના તહેવારોની માફક છેલ્લા બે-ત્રણ વર્ષથી શહેરમાં લગ્નસરાની સિઝનમાં પણ ફટાકડાઓથી આંખને નુકસાન થવાના કિસ્સાઓ પણ વધી ગયા છે. ભાવનગરમાં છેલ્લા એક સપ્તાહમાં 2 સહિત મહિનામાં 4 કિસ્સામાં ફટાકડાને કારણે દુર્ઘટનાગ્રસ્ત લોકોએ પોતાની આંખ ગુમાવી છે ત્યારે ફટાકડાથી થતા અકસ્માતમાં આંખની તત્કાલ સારવાર કરવી ખુબ જરૂરી છે. - ડો.ઋજુ ઉનડકટ, આંખના પ્લાસ્ટિક સર્જન સમાચારથી શીખ : જવાબદારી આપણી પણલોકોએ લગ્ન પ્રસંગમાં ફટાકડાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. તેમજ સુરક્ષિત અને નિયમિત રીતે મંજૂર કરાયેલા ફટાકડા જ વાપરવાની સાથે તથા ફટાકડા ફોડવા સમયે ચશ્મા પહેરવા, આગ બુઝાવવાના સાધનો ઉપરાંત દાઝી જવાના કિસ્સામાં જરૂરી મેડિકલ કીટની વ્યવસ્થા રાખવી જરૂરી છે. આ બાબતે લગ્નસરાની સિઝનમાં આયોજકો અને પરિવારે સુરક્ષા નિયમોનું કડક પાલન કરવું જોઈએ.
વેપારીઓને કરવામાં આવતી હેરાનગતિ ચરમસીમાએ:CGST સામે ભ્રષ્ટાચારના આક્ષેપ બાદ કેન્દ્રમાંથી તપાસ
ભાવનગર સીજીએસટી કચેરી દ્વારા વ્યવસાયકારો, ઉદ્યોગકારોને નોટિસો પાઠવી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવા અંગે અલંગના અગ્રણી શિપ બ્રેકરોના સમૂહે શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ઇન્ડીયા)ના લેટરહેડ તળે સભ્યોની સહી સાથે વડાપ્રધાનને પત્ર લખ્યો હતો, તે પત્ર અન્ય માધ્યમથી વડાપ્રધાન કાર્યાલય, સીબીઆઇ, જીએસટી કાઉન્સિલ, સીબીઆઇસી સહિતનાને મળતાની સાથે જ ગુપ્તરાહે તપાસનો ધમધમાટ શરૂ થયો છે, અને આગામી દિવસોમાં મોટા પગલાના ભણકારા વાગી રહ્યા છે. દરમિયાન ભ્રષ્ટ અધિકારીઓ પોતાના વચેટીયાઓને મોબાઇલમાંથી ડેટા, હિસ્ટ્રી નાબૂદ કરાવી રહ્યા છે. સીજીએસટી ભાવનગર કચેરીના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહેલા બેફામ ભ્રષ્ટાચાર અંગે નવયુગ શિપબ્રેકર્સના વી.બી.તાયલે એક વાતચીતમાં જણાવ્યુ હતુ કે, શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ઇન્ડીયા)ની જનરલ બોડીની મીટિંગ જાન્યુ.માં મળી હતી અને તેમાં સીજીએસટીના અધિકારીઓના અસહ્ય ભ્રષ્ટાચાર અંગે વડાપ્રધાનને ફરિયાદ કરવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ. આ મીટિંગમાં 27 સભ્યો હાજર હતા અને 23 સભ્યોએ ફરિયાદપત્ર પર પેઢીના નામ, મોબાઇલ નંબર સાથે સિક્કા સાથે સહી પણ કરી હતી. તંત્રના ભ્રષ્ટાચાર અંગે હું મારી વાત ઉપર અડગ છું અને કોર્ટમાં એફિડેવિટ પણ કરવા માટે તૈયાર છું. દરમિયાન એસો.ના પ્રમુખ વિશ્નુકુમાર ગુપ્તાએ જણાવ્યુ હતુ કે, એસો. દ્વારા ફરિયાદ કરવામાં આવી નથી. એસો.ના લેટરહેડ તળે કરવામાં આવેલી ફરિયાદમાં તા.15મી થી 31મી ડિસેમ્બર 2025 દરમિયાનના ભાવનગર કમિશનર સીજીએસટી કચેરીના તમામ સીસીટીવી ફૂટેજ સલામત રીતે સાંચવી રાખવા અપીલ કરવામાં આવી છે, આ સમયગાળામાં કચેરીમાં કઇંક ભેદી હિલચાલ થઇ હોવાની શંકાઓ પણ બળવત્તર બની છે. શનિવારે કેન્દ્રીય તપાસ એજન્સીઓએ તપાસનો દોર સંભાળી અને ગુજરાતમાં ગુપ્તરાહે તપાસ શરૂ કરી છે. શનિવારે દિવસ દરમિયાન આખા ગુજરાતના જીએસટી કર્મચારીઓમાં ભાવનગરમાં બનેલી ઘટનાની તિવ્ર ચર્ચાઓ ફેલાઇ હતી. જે વેપારીઓને નોટિસો ફટકારાઇ છે તે પૈકીના મોટાભાગના વેપારીઓ પાસે ઇન્વોઇસ, બીલ-ટી, ઇ-વે બિલ, વજન કાંટા ચીઠ્ઠી, બેંક ખાતાના ઉતારા જેમાં વેચાણની રકમ જમા આવી હોય, તે રજૂ કર્યા હતા છતા અધિકારીઓ સાચા કિસ્સામાં પણ વેપારીઓની હેરાનગતિ કરી રહ્યા છે. જ્યારે કે સીજીએસટી તંત્રના કોમ્પ્યુટરમાં 5 વર્ષ દરમિયાન ક્યારે, કઇ ટ્રક નીકળી, ક્યાં ગઇ આવા ટ્રાન્સપોર્ટ ટ્રેક હિસ્ટ્રી રેકોર્ડ હોય જ છે છતા પોતાના રેકોર્ડની ચકાસણી કર્યા વિના છેલ્લા 6 માસથી ભાવનગરના વેપારીઓને સતત હેરાન કરવામાં આવી રહ્યા છે. ભાવનગર સાથે તંત્રના સાવકા વ્યવહારનો આક્ષેપસીજીએસટીના કાયદા સમગ્ર દેશમાં અને ગુજરાતમાં એક સરખા લાગુ પડે છે, તો માત્ર ભાવનગરમાં જ વ્યાવસાયિક પેઢીઓના નામમાં તબદીલીઓ આવવી, ભાગીદાર બદલાવા, પ્રોપરાઇટરમાંથી પ્રાયવેટ લિમિટેડ કંપની થવાના કિસ્સામાં પેઢીના પરમેનન્ટ એકાઉન્ટ નંબર નવા લેવામાં આવ્યા હોય છે. વેપારીઓ વચ્ચે જુના નંબરથી લેવડ-દેવડ, વેપાર થયેલો હોય તો જેને વેચાણ આપવામાં આવ્યુ હોય છે તેવા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવી કાર્યવાહી ગુજરાતના એકપણ શહેરોમાં કરવામાં આવતી નથી, માત્ર ભાવનગરમાં જ શા માટે, અને કોના ઇશારે, કેવા અવાંતર હેતુથી આવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના અંગે પણ પ્રશ્નો ઉઠ્યા છે. એસો.ના હોદ્દેદારને અધિકારીઓએ સાચવી લીધાશિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ઇન્ડીયા)ના એક હોદ્દેદારનો પણ રૂપિયા 5.25 કરોડનો ડિમાન્ડ ઓર્ડર નિકળ્યો હતો, અને સીજીએસટીના અધિકારીઓએ 4.25 કરોડની ડિમાન્ડ વીથડ્રો કરાવી નાંખી હતી, બદલામાં એસોસિએશન દ્વારા સભ્યોની કોઇ આગેવાની લેવામાં ન આવે તેવી આડકતરી ચીમકી પણ આપવામાં આવી હતી. આ બાબતે એસોસિએશનના મોટાભાગના સભ્યોમાં પણ અસંતોષ ફાટી નિકળ્યો છે.
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા 21થી 23મી ફેબ્રુઆરી સુધી સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્સટાઈલ એક્ષ્પો–2026’નું આયોજન કરવામાં આવ્યું છે. એક્ઝિબીશનના ઉદ્દઘાટન સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને વાડીલાલના ચેરમેન રાજેશ ગાંધીએ કહ્યું હતું કે, ‘આ પ્રદર્શન માત્ર ટેક્સટાઈલ ઉદ્યોગના વિકાસ માટે જ નહીં, પરંતુ શહેરના સર્વાંગી વિકાસ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે. યુરોપિયન કે જાપાનીઝ ટેકનોલોજી આધારિત મશીનરીનું ઉત્પાદન ભારતમાં જ લગભગ 80થી 90 ટકા સુધી શકય છે. ટેક્ષ્ટાઇલ મશીનરીના ક્ષેત્રમાં પણ ભારત વિશ્વ કક્ષાનું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરી શકે છે. ટેક્સટાઈલ ઉદ્યોગને AI સાથે સાંકળવાની દિશામાં કેટલાક પડકારો હોવા છતાં તેનો અમલ કરવામાં આવે તો ઉત્પાદનમાં એફિશિયન્સી અને સ્પીડમાં નોંધપાત્ર વધારો થશે. AIના ઉપયોગ દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનોથી ટેક્સટાઈલની નિકાસમાં પણ મોટો વધારો કરી શકાય છે. એક્ષ્પોમાં અદ્યતન મશીનોની શ્રેણી રજૂ કરવામાં આવી છે‘ચેમ્બર દ્વારા સીટેક્ષ એક્ઝિબિશનની 13મી આવૃત્તિ રજૂ કરાઇ છે. જેમાં વિશ્વમાં પ્રથમ વખત ચાર પનાવાળું હાઇસ્પીડ રેપિયર જેકાર્ડ મશીન સીટેક્ષ એક્ષ્પોમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. સાથે જ હાઇસ્પીડ એરજેટનો પણ ડેમો રજૂ કરાયો હતો. નવી પોઝિશન પ્રિન્ટર મશીનરી અને પોઝિશન એમ્બ્રોઇડરી મશીનરી પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. આ એક્ષ્પોમાં સકર્યુલર નિટિંગ મશીનની અદ્યતન શ્રેણી પણ રજૂ કરાઇ છે. > નિખિલ મદ્રાસી, ચેમ્બરના પ્રમુખ
સારોલી પોલીસે બાતમીના આધારે સુરત કડોદરા રોડ પર નિયોલ ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવીને રૂ.7.03 લાખની કિંમતના 13.868 કિલોગ્રામ ગાંજા સાથે એક ઓરિસ્સાવાસીને પકડી કાઢ્યો છે. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સારોલી પોલીસને બાતમી મળી હતીકે નિયોલ ચેકપોસ્ટ પાસેથી ગાંજાનો મોટો જથ્થો પસાર થનાર છે. બાતમીના આધારે પોલીસની ટીમે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં રાત્રે દોઢ વાગ્યાના અરસામાં સાબરગામ ત્રણ રસ્તા નિયોલ ચેકપોસ્ટ પાસે આવી પહોંચેલા મંગલુ દિવાકર સેઠી (રહે,કૃષ્ણનગર ચીકુવાડી ચાર રસ્તા પાંડેસરા મુળ રહેત,સુનમ સોસાયટી આસ્કા શહેર જી.ગંજામ ઓરિસ્સા)ને પકડી પાડી તેની પાસેના કોથળાની તપાસ કરતા અંદરથી રૂ.6,93,400ની કિંમતનો 13,868 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આ ગાંજો કબજે લઇને મંગલુની ધરપકડ કરી છે. જ્યારે આ ગાંજો મોકલનાર ગંજામના રહેવાસી સંતોષ અને મંગાવનાર રંજન (રહે,સુરત)ને વોન્ટેડ જાહેર કર્યા છે.
જિલ્લા સંકલન:સરકારી જમીન-GIDCની ખાડીના દબાણો,અશાંત ધારા મુદ્દે ધારાસભ્યોએ ફરિયાદ કરી
જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. ધારાસભ્ય મુકેશ પટેલે ઓલપાડમાં સરકારી જમીનો પર દબાણો દૂર કરવા, અરવિંદ રાણાએ મહિલા પોસ્ટ ઓફિસ બંધ ન કરવા, મનુ પટેલે જીઆઈડીસી વિસ્તારમાં ખાડીના દબાણો દૂર કરવા, સંદિપ દેસાઈએ ડીંડોલીથી કરાડવા રોડ પર ગંદકી દૂર કરી રોડ રિકાર્પેટ કરવા અને સંગીતા પાટીલે સરકારી કોલેજની જમીન અંગે રજૂઆત કરી હતી. મેયર દક્ષેશ માવાણીએ ચોમાસા દરમિયાન શહેરમાં ખાડી પુરની સ્થિતિ પુનઃ ન સર્જાય તે માટે થયેલી કાર્યવાહી અંગે રજૂઆત કરી હતી. કલેકટરે ડ્રેનેજ અને પાલિકા અને કમ્બાઇન્ડ દરખાસ્ત પ્રાયોરીટીના ધોરણે કરવા જણાવી, ઝીંગા તળાવો દૂર કરવામાં આવી રહ્યાં હોવાનું જણાવ્યું હતું. ધારાસભ્ય અરવિંદ રાણાએ રજૂઆત કરી હતી કે, ઝાંપાબજાર ખાતેની મહિલા કર્મચારીઓથી કાર્યરત ગુજરાતની એકમાત્ર વુમન પોસ્ટ ઓફીસ બંધ કરવામાં ન આવે. અશાંતધારા હેઠળ મિલ્કત ખોટી રીતે તબદીલ ન થાય તે જરૂરી છે. આ બાબતે કલેક્ટરે કહ્યું હતું કે, ‘પોલીસ કમિશનર સાથે ચર્ચા કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ધારાસભ્ય મુકેશ પટેલે રજૂઆત કરી હતી કે, ‘બરબોધનમાં તળાવ પાસે અને ઓલપાડમાં સરકારી જમીનો પર દબાણો દૂર કરવામાં આવે. ઓલપાડની પ્રાથમિક શાળાઓના બાંધકામ મંજુરી છતાં ઘણા સમયથી થતાં નથી, તેવી રજુઆત કરી હતી. કલેક્ટરે કોન્ટ્રાકટરોને બ્લેકલિસ્ટ કરવા અધિકારીને તાકીદ કરી હતી.
જમીન પચાવવાનુ રેકેટ:એક જ સાટાખત પર ખેલ, સ્ટેમ્પ વેન્ડરોની પણ ગુનાઇત ભૂમિકા
વેસુની નવા બ્લોક નંબર 311-2ની અંદાજે 200 થી 300 કરોડની જગ્યા પચાવી પાડવામાં પોલીસ ગિરફ્તમા આવેલા આરોપી વિનુ માલવિયાના સાથીદાર પ્રતુલ પટેલની પણ બેંગ્લોર એરપોર્ટ પરથી ધરપકડ કરાઇ હતી. આજે આરોપીને કોર્ટમાં રજૂ કરીને પોલીસે 24મી સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. મૂળ ફરિયાદી તરફે એડવોકેટ શૈલેષ પટેલ હાજર રહ્યા હતા. રિમાન્ડના મુદ્દામાં ઉલ્લેખ કરાયો હતો કે આરોપી અમેરિકન સિટિઝન છે અને ખૂબ ચાલાક છે. રજી નં.5062વાળા એક જ સ્ટેમ્પ પેપર ઉપર જુદી જુદી તારીખથી જુદા જુદા સાટાખતો જે હાલના આરોપીના નામે હોય જે સ્ટેમ્પ ખરીદી કયાથી કરી તેની પણ તપાસ કરવાની છે. અસલ સાટાખત હજી પોલીસને મળ્યા નથી: રિમાન્ડના મુદ્દા
દ. ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં જ્ઞાનના નવા સરકારી દ્વાર ખુલવા જઈ રહ્યા છે. વર્ષોની રજૂઆતો બાદ હવે શિક્ષણ વિભાગે સુરતની બે સહિત 4 નવી સરકારી કોલેજોને મંજૂરી આપી છે.અરેઠ, અંબિકા, નાના પોંઢા અને ખેરગામમાં સાયન્સ, કોમર્સ અને લો જેવા પ્રવાહો શરૂ થશે. નવા સત્રથી વિધાર્થીઓ પ્રવેશની શક્યતા છે. આદિજાતિ વિસ્તારની કોલેજોમાં મળનારી સુવિધાઓ આ આદિજાતિ વિસ્તારોમાં નવી કોલેજો શરૂ થશે નોંધ: વિદ્યાર્થીઓ માટે રૂ. 900 અને વિદ્યાર્થિનીઓ માટે માત્ર રૂ. 315 ફી રહેશે વાંસદા કોલેજને બીએસસીની મંજૂરી વાંસદાની સરકારી કોલેજમાં હાલમાં માત્ર B.A. અને B.Com. છે, પરંતુ હવે ત્યાં B.Sc. શરૂ કરવાની મંજૂરી અપાઈ છે. યુનિવર્સિટી પ્રક્રિયા પૂર્ણ થતાં જ નવા સત્રથી પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે.
નોકરી ન્યુઝ:SVNITમાં AI સહિત 10 વિભાગમાં દેશના 100 વિધાર્થીને રિસર્ચની તક, મહિને 5 હજાર સ્ટાઇપેન્ડ
SVNIT દ્વારા વર્ષ 2026 માટે સમર ઇન્ટર્નશિપ પ્રોગ્રામ જાહેર કરાયો છે. જેમાં દેશની વિવિધ કોલેજોના 100 વિદ્યાર્થીઓને બે મહિના સુધી નિષ્ણાત પ્રોફેસરોની દેખરેખ હેઠળ રિસર્ચની તક મળશે. પસંદ થયેલા ઇન્ટર્ન્સને મહિને રૂ. 5 હજારનું સ્ટાઇપેન્ડ ચૂકવાશે. જે વિદ્યાર્થીઓ B.E. કે B.Tech કરી રહ્યા છે અને ઓછામાં ઓછી 5મા સેમેસ્ટરની પરીક્ષા આપી છે તેઓ અરજી કરી શકશે.ઉપરાંત, 5 વર્ષના ઇન્ટિગ્રેટેડ M.Sc.ના વિદ્યાર્થીઓ કે જેઓ 5મા સેમેસ્ટર પછીના અભ્યાસક્રમમાં છે, તેઓ પણ આ સુવર્ણ તકનો લાભ લઈ શકશે. શૈક્ષણિક રેકોર્ડ સારો હોવો ફરજિયાત છે. ઇન્ટર્ન્સને SVNIT કેમ્પસની હોસ્ટેલમાં રહેવાની સુવિધા ચૂકવણીના ધોરણે પૂરી પાડવામાં આવશે. જ્યારે મેસ અને કેન્ટીનનો જમવાનો ખર્ચ વિદ્યાર્થીઓએ પોતે ભોગવવાનો રહેશે. આ વિભાગોમાં રિસર્ચ થશેવિદ્યાર્થીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (DoAI), કોમ્પ્યુટર સાયન્સ (DoCSE), સિવિલ, કેમિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, મેકેનિકલ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ અને ફિઝિક્સ એમ કુલ 10 વિભાગોમાં અરજી કરી શકશે.
નવી કોર્ટનું નવું ઠેકાણું:મગદલ્લા, સિવિલ, ક્રિમિનલ, કન્ઝ્યુમર બધી જ કોર્ટ એક સાથે
મગદલ્લા સ્થિત વીઆરમોલની પાછળ આવેલી મગદલ્લાની જમીન નવી કોર્ટ બિલ્ડિંગ માટે ફાઇનલ કરાશે. આજે હાઇકોર્ટ જસ્ટીસ, સુરત બાર અને સિટી એસો. મળી તમામે આ જગ્યા માટે સહમતિ દર્શાવી છે. હવે અંતિમ નિર્ણય હાઇકોર્ટ દ્વારા લેવામાં આવશે અને ત્યારબાદ જમીન કોર્ટ માટે ટ્રાન્સફર કરવામાં આવશે. સિવિલ-ક્રિમિનલ, ફેમિલિ,કન્ઝ્યુમર સહિતની તમામ કોર્ટ એક જ સ્થળે ચાલી શકશે. 1.15 લાખ ચોરસ મીટર જગ્યા, 50 વર્ષનું આયોજનઆગામી 50 વર્ષ સુધી કોર્ટની જગયા બદલવી ન પડે એ માટેની જગ્યા શોધવાની કવાયત હતી. 50 હજાર ચોરસ મીટરની જરૂર હતી. પરંતુ મગદલ્લા ખાતે બે ટુકડામાં 1.15 લાખ ચોરસ મીટરની જગ્યા છે. એક હિસ્સો 92 હજાર ચોરસ મીટર છે. હાલની કોર્ટ અને બીજી તમામ કોર્ટ અહીં આવી શકે છે. ભાસ્કર ઇનસાઇટનવી કોર્ટ માટે અત્યાર સુધી આ જગ્યાઓ જોવાઈપહેલા કોર્ટની બાજુની જગ્યા ન મળી, બાદમાં જીઆવ બુડિયા ખાતેની જગ્યા પોલ્યુશનના લીધે નકારી કાઢવામાં આવ્યા બાદ મરઘા કેન્દ્રની જગ્યા પર ચર્ચા શરૂ થઈ હતી. જોકે, આ જગ્યામાં એન્ટ્રન્સને લઇને વિવાદ થતાં તેની પર પણ ચોકડી લાગી ગઈ હતી. બાદમાં પાલ નજીકની જગ્યા પર પણ બાંધકામને લઇને મંજૂરી મળે એમ નહોય આ જગ્યા પણ કેન્સલ થઈ હતી.
26મી ફેબ્રુઆરીથી ધોરણ 12 કોમર્સની પરીક્ષા શરૂ થઈ રહી છે. વિદ્યાર્થીઓ હાલ રિવિઝન કરવામાં લાગી ગયા છે.ધોરણ 12 કોમર્સમાં એકાઉન્ટ અને આંકડાશાસ્ત્ર સ્કોરીંગ માટે મહત્વના સબ્જેક્ટ ગણવામાં આવે છે. અનેક વિદ્યાર્થીઓ આ બંને વિષયમાં 100માંથી 100 ગુણ મેળવતા હોય છે. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ માટે આ જ બંને વિષય મુશ્કેલી સર્જતા હોય છે. ત્યારે ટૂંકા સમયમાં આ બંને વિષયોમાં સફળ થવા માટે અને 80થી વધુ માર્ક લેવા માટે કઈ રીતે તૈયારી કરવી તે જાણવા દિવ્ય ભાસ્કરે વિષય નિષ્ણાંતો સાથે વાત કરી હતી. એકાઉન્ટમાં 80 પ્લસ માર્ક મેળવવા શું કરશો?એકાઉન્ટ એટલે કે નામાના મૂળ તત્ત્વો અંગે વિષય નિષ્ણાંત કુંતલ શાહે જણાવ્યું હતું કે, આપણે હોંશિયાર વિદ્યાર્થીની વાત કરીએ તો છેલ્લા એક અઠવાડિયાની અંદર તેઓએ સ્વાધ્યાયના ભાગ- 1અને ભાગ-2, બધા જ ચેપ્ટરના વિકલ્પો અને એક-એક વાક્યના કે જે ચોપડીની પાછળ આપ્યા છે તે તમામ તૈયાર કરી લેવાના અને વિભાગ 'E' કે જે પ્રવેશ, નિવૃત્તિ, શેરમૂડી. આ ત્રણ ચેપ્ટર એના સ્વાધ્યાયના દાખલા ખાસ ગણી લેવા જેથી આરામથી 80 પ્લસ માર્ક મેળવી શકાય છે. જે વિધાર્થીએ પુરે પૂરા માર્ક્સ જોઈતા હોય તે આ ત્રણ ચેપ્ટરની સાથે સાથે ભાગીદારીના વાર્ષિક હિસાબો અને કંપનીના વાર્ષિક હિસાબો એ પણ સ્વાધ્યાયના દાખલા ખાસ ગણી નાખે તો એમના માટે પૂરેપૂરો માર્ક્સ મેળવી શકશે. એકાઉન્ટ વિષયની તૈયારી કરતી સમયે આટલી બાબતનું ધ્યાન રાખોવધુમાં કહ્યું કે, બોર્ડની પરીક્ષાની અંદર મોટાભાગનું આખું પેપર માર્ચ 2026માં ચોપડીમાંથી જ પુછાવવાનું છે. એક-એક વાક્યના હોય કે વિકલ્પો હોય તે ચોપડીની સ્વાધ્યાયમાં ખૂબ જ ધ્યાન આપે અને જોડે જોડે જે વિભાગ 'E' છે એના માટે ઉદાહરણના દાખલા પણ ખાસ જોઈ જાય, તો આ વર્ષે ઉદાહરણના દાખલા પૂછાવાના પૂરા ચાન્સ છે. તો બોર્ડની પરીક્ષાની આગળ જે લોકોને એકાઉન્ટનું પેપર છે આગળ ચાર રજાઓ છે. તો ચાર રજાઓનો ઉપયોગ એ જ રીતે કરે કે પહેલી બે રજાઓ છે એની અંદર વિભાગ 'E' ના ત્રણે ત્રણ ચેપ્ટરના દાખલા ગણી નાખે અને એ જ દિવસે તેઓ વિભાગ 'F' માં જે છેલ્લા બે ચેપ્ટર હોય છે 11-11 માર્કના એનું પૂરું કરી દે અને એના પછીના જે બે દિવસ રહે છે એ થિયરી માટે રાખે અને છેલ્લા દિવસોમાં ક્યારેય રાત્રે વધારે ઉજાગરો કરશો નહીં, તો આપણે પેપર એકદમ શાંતિથી અને સરળતાથી આપી શકીશું. આ પાંચ ચેપ્ટર કરશો તો આરામથી 50 ઉપર માર્ક આવી જશે- શિક્ષકવધુમાં કહ્યું કે, જે નબળા વિદ્યાર્થીઓ છે, તે ભાગ-1ની અંદર ત્રીજું, ચોથું અને સાતમું ચેપ્ટર અને જોડે જોડે જો થાય તો પહેલું ચેપ્ટર જે 3 માર્કનું સાથે ભાગ-2ની અંદર ચોથું ચેપ્ટર કરવામાં આવે તો આરામથી વિદ્યાર્થી 35 થી 40 માર્ક દાખલામાં બેઠ્ઠા આવી જશે અને જોડે જોડે સ્વાધ્યાયના વિકલ્પો અને એક-એક વાક્યના કરશે તો એ 30 માર્ક સ્કોર કરશે તો એ પણ 60 માર્ક રમતા રમતા લઈ આવશે. એકાઉન્ટમાં ફેલ થવાની જરાય ચિંતા ના કરશો. ખાલી આ પાંચ ચેપ્ટર પૂરા કરશો તો આરામથી તમે 50 ની ઉપર માર્ક લઈ આવશો. આંકડાશાસ્ત્રમાં નાપાસ થવું હવે લગભગ અશક્ય- વિપુલ જોશીઆંકડાશાસ્ત્રની તૈયારી અંગે દિવ્ય ભાસ્કરે આંકડાશાસ્ત્રનો અભ્યાસ કરાવતા શિક્ષક વિપુલ જોશ સાથે વાતચીત કરી હતી. જેઓએ જણાવ્યું હતું કે, સૌથી પહેલાં તો હોશિયાર કે નબળા બંને પ્રકારના વિદ્યાર્થીઓ માટે એક સામાન્ય બાબત એ છે કે, 30 માર્ક્સ જે MCQ (વિકલ્પવાળા પ્રશ્નો) અને SQ (એક વાક્યમાં પ્રશ્નો) છે, તે માટે દરેક પ્રકરણના અંતે આપેલા વિભાગ A અને B ની તૈયારી કરો. જો હોશિયાર વિદ્યાર્થી આ 30 માંથી 30 ગુણ મેળવે તો 100 ગુણ આવવાની શક્યતા વધી જાય છે. વધુમાં કહ્યું કે, નબળા વિદ્યાર્થીઓ માટે જો 25 ગુણ પણ આ વિભાગમાંથી આવે તો પાસ થવા માટે માત્ર 10-15 ગુણ જ ખૂટે છે. તેમના માટે માત્ર બે પ્રકરણો તૈયાર કરવા પૂરતા છે: ભાગ-1 નું પ્રકરણ-2 અને પ્રકરણ-4 આ બંને પ્રકરણો વિકલ્પ સાથે કુલ 36 ગુણના હોય છે. વિભાગ Fના ચારેય દાખલાઓ આ બે પ્રકરણોમાંથી મળી રહેશે. જો આમાં 20 ગુણ અને વિભાગ A-B માંથી 30 ગુણ આવે તો કુલ 50 ગુણ આરામથી આવી શકે છે. એટલે કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર આ પ્રકરણો તૈયાર કરો અને હોશિયાર વિદ્યાર્થીઓ માટે વિભાગ E પર ધ્યાન આપવું પણ જરૂરી છે જે 12 ગુણનો હોય છે. 'અન્ય સાહિત્ય વાપર્યા વગર માત્ર પાઠ્યપુસ્તક પર ધ્યાન આપો'વધુમાં કહ્યું કે, ચોપડીની બહારનું કશું જ પૂછાતું નથી, રકમ પણ બેઠી જ હોય છે. તેથી કોઈ પણ અન્ય સાહિત્ય વાપર્યા વગર માત્ર પાઠ્યપુસ્તક પર જ ધ્યાન આપવું જોઈએ. પરીક્ષામાં જે વિભાગ સૌથી સહેલો લાગે તે સૌથી પહેલા લખો જેથી આત્મવિશ્વાસ વધશે. આંકડાશાસ્ત્રમાં નાપાસ થવું હવે લગભગ અશક્ય છે. હોશિયાર વિદ્યાર્થી માટે સેક્શન E 12 માર્કસનું હોય છે જે ત્રણ ચેપ્ટરમાંથી પૂછાય છે જેના પર ધ્યાન આપવામાં આવે તો પૂરેપૂરો માર્ક્સ લાવી શકે છે.
વર્ષોની સખત મહેનત, ગ્રાઉન્ડ પર પરસેવો પાડ્યો અને જ્યારે ખાખી પહેરવાના સપનાંની નજીક પહોંચ્યાં એટલે કે ઉમેદવારો ફિઝિકલ પરીક્ષા માટે ગયા ત્યારે કેટલાક ઉમેદવારોને હાઇટના કારણે બહારનો રસ્તો બતાવી દેવાયો. આવી ઘટના કદાચ જો કોઇ ઉમેદવાર પહેલીવાર ફિઝિકલ પરીક્ષા આપતો હોય અને તેની સાથે બને તો એક સમયે માની શકાય પણ ટેક્નોલોજી અને સઘન વ્યવસ્થા વચ્ચે લેવામાં આવેલી પોલીસ ભરતીની પરીક્ષામાં ઊંચાઇના માપદંડો અંગે મોટો વિવાદ છેડાયો છે.જેથી મામલો ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. આવા કિસ્સાઓ સામે આવ્યા બાદ દિવ્ય ભાસ્કરે હાઇટમાં ફેલ થયેલા ઉમેદવારો સાથે વાતચીત કરીને ખરેખર પરીક્ષા દરમિયાન શું-શું બન્યું અને કયા કારણથી ફેલ કરવામાં આવ્યાં હોવાનું કહેવાયું હતું તે જાણ્યું હતું. સાથે જ આ મુદ્દે સરકારમાં રજૂઆત કરનારા પાટીદાર નેતા દિનેશ બાંભણિયા સાથે વાતચીત કરી હતી. ઊંચાઇ માટે શું નિયમ છે?ગુજરાતમાં PSI અને LRDની કુલ 13,591 જગ્યાઓ માટે યોજાયેલી ભરતીમાં રાજ્યભરમાંથી 14,28,546 ઉમેદવારોએ અરજી કરી હતી. આ પરીક્ષામાં પુરૂષ ઉમેદવાર માટે ઓછામાં ઓછી 165 સેન્ટીમીટર હાઇટ હોવી જરૂરી છે. જ્યારે મહિલા ઉમેદવાર માટે 155 સેન્ટીમીટર હાઇટ જરૂરી છે પણ 2019થી 2025ના વર્ષ દરમિયાન BSFથી માંડીને પોલીસ ભરતીમાં ફિઝિકલ એક્ઝામ પાસ કરીને હાઇટમાં પાસ થનારા ઉમેદવારોને 2026માં ઓછી હાઇટ નોંધાઇ હોવાથી બહાર કરાયા છે. ગયા વર્ષે પાસ, આ વર્ષે નાપાસ!મૂળ થરાદના વતની અને હાલમાં પાટણમાં રહીને કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી કરનાર મહિલા ઉમેદવાર પૂજા ઠાકોરે પણ ગત વર્ષે અને આ વર્ષે યોજાયેલી પોલીસ ભરતીની ફિઝિકલ પરીક્ષા આપી હતી પરંતુ તેમને હાઇટ ઓછી છે તેમ કહેવામાં આવ્યું હતું. ગયા વર્ષે તેણે ગાંધીનગર સેક્ટર-27માં ફિઝિકલ એક્ઝામ આપી હતી. આ વખતે પણ તેનો ત્યાં જ નંબર આવ્યો હતો. આ વખતે જ્યારે તેની હાઇટ માપવામાં આવી તો દરેક વખતે અલગ અલગ માપ આવ્યા હતા. રજૂઆત બાદ 3 વાર ઊંચાઇ માપીપૂજા ઠાકોરે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, જે ઉમેદવાર 2-2 વાર પાસ થયા હતા તેમને પણ આ વખતે હાઇટમાં ફેલ કર્યા છે. મેં રજૂઆત કરી એ પછી મારી હાઇટ 3 વાર માપવામાં આવી હતી. જેમાં ત્રણેય વાર અલગ અલગ મેજરમેન્ટ આવતા હતા. કોઇ વાર 154.3 સેન્ટીમીટર માપ આવ્યું તો કોઇ વાર 154 સેન્ટીમીટર માપ આવ્યું હતું. આના પછી પૂજાએ સિવિલ હોસ્પિટલમાં હાઇટ મપાવી હતી. પૂજાએ કહ્યું કે,ગ્રાઉન્ડમાં મારી હાઇટનો પ્રોબ્લેમ આવ્યો એ પછી હું સિવિલ હોસ્પિટલમાં હાઇટ ચેક કરવા માટે ગઇ હતી. જ્યાં મારી હાઇટ ઓકે બતાવતાં હતા. મેં તેમને સર્ટિફિકેટ આપવા માટે કહ્યું તો ત્યાંથી એવો જવાબ મળ્યો કે અમે અહીંયાથી કોઇને હાઇટ બાબતનું સર્ટિફિકેટ ન આપી શકીએ. જ્યારે મેં પૂછ્યું કે કેમ ન મળે ત્યારે ત્યાંથી એવો જવાબ મળ્યો કે અમે કોઇને આપતાં જ નથી અને આપીશું પણ નહીં. આ ઘટના બાદ પૂજાએ પોલીસ ભરતી બોર્ડમાં અરજી કરી છે અને કલેક્ટર કચેરીમાં પણ આવેદનપત્ર આપ્યું છે. જો કે તેને આજ સુધી કોઇ જવાબ મળ્યો નથી. મારા ભવિષ્યનો સવાલ હતોઃ પૂજાપૂજાએ વસવસો વ્યક્ત કરતાં કહ્યું કે, આ ભરતી મારા ભવિષ્યનો સવાલ હતો. ગયા વર્ષે પાસ થઇ હતી પણ પછી રહી ગઇ હતી એટલે આ વખતે એક આશા હતી પણ હાઇટમાં જ ફેલ કરવામાં આવી. BSF અને અગાઉની પોલીસ ભરતીમાં પાસ થયેલા ઉમેદવારનો કિસ્સોઅન્ય એક ઉમેદવાર રામદેવસિંહ ગોહિલનો કિસ્સો તો ખૂબ નવાઇ પમાડે તેવો છે. રામદેવસિંહ ભાવનગરના શેવડીવદર ગામના વતની છે. તેઓ હાલમાં BAનો અભ્યાસ કરી રહ્યાં છે અને છેલ્લાં 3 વર્ષથી આર્મી અને પોલીસમાં ભરતી થવા માટેની પરીક્ષાઓની તૈયારી પણ કરી રહ્યાં છે. 2024 માં BSFની ભરતી અને 2025માં લેવાયેલી પોલીસ કોસ્ટેબલની ભરતીની પ્રક્રિયામાં તેમની હાઇટ બરાબર હતી પણ આ વર્ષ હાઇટમાં તેમને ફેલ કરવામાં આવ્યા છે. ગયા વર્ષે અને આ વર્ષે સેન્ટર એક જ હતુંરામદેવસિંહે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, જ્યારે મેં 2025ની કોન્સ્ટેબલ માટેની પરીક્ષા આપી ત્યારે મારું સેન્ટર જૂનાગઢમાં આવ્યું હતું. જ્યાં મેં 19 મિનિટને 36 સેકન્ડમાં પરીક્ષા પાસ કરી હતી. જ્યારે મારી હાઇટ 165.9 સેન્ટીમીટર મપાઇ હતી. હાલમાં મેં જે પરીક્ષા આપી તે પણ આ જ સેન્ટર પર આપી હતી. જેમાં મેં 19 મિનિટમાં ગ્રાઉન્ડ ક્લિયર કર્યું. જેના પછી મારી હાઇટ માપવામાં આવી તો તેમાં ગયા વર્ષ કરતાં એક ઇંચ જેટલો ઘટાડો આવ્યો હતો અને મને ફેલ કરવામાં આવ્યો હતો. ફેલ કરાયા બાદ રામદેવસિંહે રજૂઆત કરી હતી કે અગાઉ જો હું આમાં પાસ થયો હોઉં તો આ વખતે કઇ રીતે મારી હાઇટ ઓછી થઇ ગઇ? આના પછી 3 વખત તેમની હાઇટ માપવામાં આવી હતી જેમાં તેમને કહેવાયું હતું કે તમારી હાઇટ નિયમ કરતાં ઓછી છે. સિવિલમાં હાઇટ માપી તો 166 સેન્ટીમીટર થઇરામદેવસિંહે દાવો કર્યો કે, મને હાઇટમાં ફેલ કરવામાં આવ્યો એ પછી હું સિવિલ હોસ્પિટલમાં હાઇટ મપાવા માટે ગયો હતો. ત્યાં મારી હાઇટ 166 સેન્ટીમીટર નોંધાઇ હતી. મને સિવિલમાંથી સર્ટિફિકેટ નથી આપ્યું. મેં માંગ્યું તો એવું કહ્યું કે જો પોલીસ ભરતી બોર્ડમાંથી માંગવામાં આવશે તો આપીશું. રામદેવસિંહે એવો પણ દાવો કર્યો કે, જ્યાં અમારી હાઇટ માપવામાં આવી ત્યાં મોટાભાગના લોકોની હાઇટમાં 2-2 ઇંચનો તફાવત આવ્યો હતો. જ્યારે સિવિલમાં હાઇટ માપવામાં આવી ત્યારે બરાબર આવતી હતી. આ બન્ને ઉમેદવારો બાદ દિવ્ય ભાસ્કરે પાટીદાર નેતા દિનેશ બાંભણિયા સાથે વાતચીત કરી હતી. બાંભણિયાએ પોલીસ ભરતીમાં ઉમેદવારોની હાઇટ માપવામાં ગેરરીતિ થઇ હોવાની ફરિયાદ સરકારને કરી છે. દિનેશ બાંભણિયાએ દિવ્ય ભાસ્કરને કહ્યું, ગુજરાત સરકારના પોલીસ ભરતી બોર્ડમાં વારંવાર પ્રશ્નો ઊભા થતાં હોય છે. 2019થી 2025 દરમિયાન લેવાયેલી પરીક્ષા દરમિયાન પુરૂષ ઉમેદવારો માટે 165 સેન્ટીમીટર અને મહિલા ઉમેદવારો માટે 155 સેન્ટીમીટર ઊંચાઇનો નિયમ હતો. આ જ નિયમ આ વખતે પણ છે. તેમ છતાં અગાઉની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને આ વખતે ફેલ કરવામાં આવ્યાં છે. પોલીસ ભરતી બોર્ડમાં અપીલ કર્યાં પછી નવેક જેટલા ઉમેદવારોએ બાંભણિયાને રજૂઆત કરી હતી. બાંભણિયાએ કહ્યું કે, મારી પાસે આવેલા કિસ્સાઓમાંથી 2-3 મુખ્ય કિસ્સાઓ ખૂબ જ ગંભીર હતા. જેમાં તે વિદ્યાર્થીઓ અગાઉની પરીક્ષામાં હાઇટમાં પાસ થયા હતા પણ આ વખતે તેમને ફેલ કરવામાં આવ્યાં છે. બાંભણિયાએ સુરતના ઉમેદવારનો કિસ્સો કહ્યો. સુરતના ઉમેદવારે હિંમતનગર ખાતે પરીક્ષા આપી હતી. તે 2019 અને 2025માં ફિઝિકલ પરીક્ષામાં પાસ થયો હતો પણ 2026ની પરીક્ષામાં હાઇટમાં તેને ફેલ કરવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓનું એટલું જ કહેવું છે કે અગાઉ પાસ હોઇએ તો આ વખતે કેવી રીતે નાપાસ થઇ શકીએ? હાઇટ કેવી રીતે ઘટી શકે?: બાંભણિયાબાંભણિયાએ સવાલ ઉઠાવ્યો કે જો કદાચ ટેક્નોલોજી બદલાઇ હોય પણ હાઇટમાં વધઘટ થવાનો પ્રશ્ન જ નથી આવતો. માણસનું વજન ઘટી શકે અને વધી શકે, રનિંગમાં કોઇની સ્પીડ વધી કે ઘટી શકે, પેપરમાં લખવાની સ્પીડમાં વધારો કે ઘટાડો નોંધાઇ શકે પણ હાઇટ વધધટનો પ્રશ્ન આ ઉંમરમાં બને એ શક્ય નથી. આવું થવા પાછળ બાંભણિયાએ અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા.તેમના મતે, સરકારનો અભિગમ તો સ્પષ્ટ જ છે કે પારદર્શક પરીક્ષા લેવામાં આવે પણ અમૂક અધિકારીઓના લીધે સરકાર બદનામ થઇ રહી છે અને સિસ્ટમ પણ બદનામ થઇ રહી છે. જેથી વિદ્યાર્થીઓને અન્યાય થઇ રહ્યો છે. તેમણે કહ્યું કે, આ ભરતી પ્રક્રિયામાં ઘણી બધી જગ્યાએથી એવી પણ ફરિયાદો આવી છે જેમાં દીકરી પોતાની હાઇટ બાબતે ફેલ થાય અને પછી અપીલ કરે તો 3થી 4 વાર તેની હાઇટ માપવામાં આવે છે. દરેક વખતે અલગ અલગ માપ આવે છે. આ બાબતે મેં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ડીજીપી કે.એન.એલ રાવ અને ચેરમેન નિરજા ગોટરૂની મુલાકાત લઇને તેમને રજૂઆત કરી હતી કે જે વિદ્યાર્થીઓ અગાઉની બે પરીક્ષામાં પાસ હોય તેમને ફરી બોલાવીને તેમની હાઇટ માપવામાં આવે. તેમણે આંદોલનનો રસ્તો અપનાવીને પરીક્ષા નહીં લેવા દઇએ તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. મામલો હાઇકોર્ટમાં પહોંચ્યોઊંચાઇના મુદ્દે કેટલાક ઉમેદવારોએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. હાઇકોર્ટે દરેક અરજદારને કોર્ટ રજિસ્ટ્રીમાં 10 હજાર રૂપિયા જમા કરાવવાનો અને 19મી તારીખે સોલા સિવિલ હોસ્પિટલમાં ઊંચાઇ મપાવવાનો આદેશ કર્યો હતો. ઉમેદવારની ઊંચાઇનો રિપોર્ટ 23મી ફેબ્રુઆરીએ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જો ઉમેદવારનો દાવો યોગ્ય હશે તો તેને 10 હજાર રૂપિયા પરત મળશે.
ગેરકાયદે બાંધકામનું ડિમોલીશન નહીં કરવા માટે રૂ. 21 લાખની લાંચ માગી રૂ. 4 લાખની લાંચ લેવાના કેસમાં લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલાને સસ્પેન્ડ કરાયા છે. બીજી તરફ, એસીબીએ શનિવાર વિપુલ ગણેશવાલાના લોકરમાંથી રૂ. 52 લાખના દાગીના તથા પત્રકાર પરવાના પઠાણની ઓફિસમાંથી રોકડા રૂ. 80 હજાર કબજે લીધા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ACB દ્વારા ગોઠવવામાં આવેલા લાંચના છટકામાં ઇશ્માઇલ ઉર્ફે પરવાના પઠાણ ચાર લાખની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાયો હતો તેમાં લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલાની સંડોવણી હોઈ આ અંગે સુરત શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધવામાં આવ્યો છે. એસીબી ની તપાસમાં તેમની સંડોવણી સ્પષ્ટ થતા પાલિકા તંત્રમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. ભાસ્કર ઇનસાઇડપત્રકાર ગેરકાયદે બાંધકામની ફરિયાદ કરાવતો, પછી પાલિકા અધિકારી સાથેની મિલિભગતથી રૂપિયા પડાવતા લિંબાયત ઝોનમાં ગેરકાયદે બાંધકામોને લઈ કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલા અને પત્રકાર પરવાના સામે ગંભીર આક્ષેપો થઈ રહ્યા હોવાની વાત સામે આવી રહી છે. વચેટીયા પરવાના અને તેના સાથીદારો દ્વારા પાલિકામાં અરજીઓ કરાવી બાદમાં સેટિંગના નામે મહિને લાખોની કમાણી કરતો હોવાનું વાત સામે આવી રહી છે. ખરેખર આ બાબતે એસીબી તપાસ કરાવે તો ઘણી બધી હકીકતો બહાર આવી શકે છે. નિષ્પક્ષ ગુજરાત પત્રિકા દૈનિક ન્યૂઝ પેપરના પત્રકાર મોહંમદ ઈસ્માઇલ ઉર્ફે પરવાના પઠાણએ 20 માણસોની એક ટોળકી ઊભી કરેલી છે. આ ટોળકી મોટેભાગે લિંબાયત ઝોનમાં સક્રિય હતી. બાકી ઉધના ઝોનમાં પણ તેની ગેંગ કાર્યરત છે.પરવાનાની ટોળકીમાં 5 પન્ટરોનું કામ લિંબાયત ઝોનમાં નવા બંધાતા બાંધકામનું સર્વે કરવાનું કામ હતું. સર્વે કરી તેના ફોટો અને એડ્રેસ સહિતની માહિતી પરવાનાને આપી દેતા હતા. પછી પરવારના તેના અન્ય 7 પન્ટરો પાસે પાલિકામાં ગેરકાયદે બાંધકામ બાબતે અરજી કરાવતો હતો. બાકીના પન્ટરો પોલીસ અને સરકારી બાબુઓ સાથે સેટિંગનું કામ કરતા હતા. આખો ખેલ પરવાના શરૂ કરતો હતો. જેમાં અરજી બાબતે પરવાના કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલાને વાત કરી દેતો હતો. પછી બાંધકામ બંધ કરાવી રૂપિયા પડાવવાનો ખેલ શરૂ થતો હતો. ડે.હેલ્થ ઓફિસર ડો.અજિત ભટ્ટ ના સસ્પેન્શનને મંજુરી અપાઈડે.હેલ્થ ઓફિસર ડો.અજિત ભટ્ટ સ્વચ્છતા ઝુંબેશમાં ભાગળ શાકમાર્કેટ ખાતે સમયસર હાજર નહીં રહી કામગીરીમાં બેદરકારી દાખવતાં સ્થળ પર પહોંચેલા કમિશનરે તેમને સસ્પેન્ડ કરતો ઓર્ડર કર્યો હતો. આ અંગે શનિવારે મળેલી સ્થાયી સમિતિમાં જાણ લેવાની દરખાસ્તને બહાલી અપાઈ હતી. લો ઓફિસર પંડ્યાનું રાજીનામુ મંજુરસ્મીમેર હોસ્પિટલમાં સેનિટેશન કામગીરીના ઈજારો લેનાર એજન્સીને ડી-બાર કરવાના સ્થાયી સમિતિના ઠરાવના નિર્ણયને લો વિભાગના અધિકારીઓની લાપરવાહીને પગલે કોર્ટ હુકમથી ઠરાવ રદ્દ કરવાની નોંબત આવી હતી. મિતુલ પંડ્યાએ બીજા જ દિવસે રાજીનામુ ધરી દીધું હતું, જેને મંજુર કરાયું છે.
સિટી એન્કર:જાગતે રહો...પઢતે રહો...બોર્ડની તૈયારી માટે સ્કૂલમાં નાઇટ શિફ્ટ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની મુખ્ય જાહેર પરીક્ષાને હવે 5 જ દિવસ બાકી રહ્યા છે. ત્યારે અડાજણની સરસ્વતી સ્કૂલે વિદ્યાર્થીઓના મનમાંથી પરીક્ષાનો ડર દૂર કરવા માટે નાઇટ સ્કૂલ શરૂ કરી છે. જેમાં વિદ્યાર્થીઓ સાથે સાથે શિક્ષક પણ હોય છે. જ્યાં વિદ્યાર્થીઓ વિવિધ વિષયો વાંચી રહ્યા છે અને વાંચતી સમયે કોઈ પણ ડાઉટ આવે તો તરત જ તેને શિક્ષકો સોલ્વ કરી આપે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ ગ્રુપ ડિસ્કશન દ્વારા પરીક્ષાની જોરદાર તૈયારી કરી રહ્યા છે. જ્ઞાનની નાઈટ શિફ્ટ: આ ચાલી રહ્યું છે મિડનાઈટમાં
22 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી યુનિવર્સિટી ગ્રાઉન્ડ પર રાષ્ટ્રીય પુસ્તક મેળો-ફ્લાવર શોનું મહાપાલિકા દ્વારા ભવ્ય આયોજન કરાયું છે, જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હસ્તે ઉદ્ઘઘાટન થશે. પાંચ વર્ષ બાદ આખરે મહાપાલિકાએ લોકપ્રિય બનેલા પુસ્તમેળા-ફ્લાવર શોની ધમાકેદાર ફરી શરૂઆત થશે. જેમાં, ઉડીને આંખે વળગે તે ફ્લાવર શોમાં દોઢ લાખ પ્લાન્ટ્સ ગાર્ડન ખાતા દ્વારા લગાડવામાં આવ્યા છે. પ્રથમ વખત કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ જેવી કે, પીએમ જન આરોગ્ય યોજના, પીએમ આવાસ યોજના, જળશક્તિ અભિયાન, મુફ્ત વીજળી યોજનાઓ જાણવા મળશે. એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર ફૂલોથી બનાવવામાં આવેલ ‘હાર્ટ’ નું સેલ્ફી પોઈન્ટ અનોખુ આકર્ષણ જમાવશે.
મોરબી હત્યાકાંડના પડઘા રાજકોટમાં:કોઠારિયા નાકે સોની વેપારીઓના ધરણાં તથા રામધૂન
મોરબીમાં સામાન્ય તકરારમાં સોની યુવાનની કરપીણ હત્યાની ઘટનાએ સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રચંડ પ્રત્યાઘાત ઊભા કર્યા છે. રાજકોટ સહિત અનેક શહેરોમાં સોની વેપારી વર્ગમાં આક્રોશ ફેલાયો છે. ઘટનાના વિરોધમાં રાજકોટ સોની બજારમાં અડધો દિવસ બંધનું એલાન આપવામાં આવ્યું હતું, પરંતુ બંધને મર્યાદિત પ્રતિસાદ મળ્યો હતો અને મોટા ભાગની દુકાનો તથા પેલેસ રોડના શો-રૂમ નિયમિત રીતે ખુલ્લા રહ્યા હતા. મોરબીની ઘટનાને લઈ રાજકોટના કોઠારિયા નાકા ખાતે સોની વેપારીઓ અને સમાજના આગેવાનો દ્વારા ધરણાં કાર્યક્રમ યોજાયો હતો. રામધૂન સાથે વિરોધ વ્યક્ત કરી હત્યારાઓ સામે દાખલારૂપ અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસિએશન સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સુવર્ણકાર સંઘ, ઝાલાવાડી સમાજ અને જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન જેવા વ્યાપારી-સામાજિક સંગઠનો દ્વારા રાજ્યના ગૃહમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આરોપીઓ સામે સખ્ત કાયદેસર પગલાં ભરવાની માંગ સાથે સુરક્ષા વધારવા અંગે પણ રજૂઆત કરવામાં આવી છે. ધરણાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાજકોટના અંદાજે 200 જેટલા વેપારીઓ મોરબી જવા રવાના થયા હતા. તેઓ સંબંધિત તંત્રને આવેદનપત્ર સુપ્રત કરી કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરશે અને ઝડપી ન્યાયની માંગ ઉઠાવશે.આ ઘટનાએ સોની વેપારી વર્ગમાં ભય અને ચિંતા ઊભી કરી છે, સાથે જ એકતા અને સંઘર્ષની ભાવના પણ મજબૂત બનાવી છે.
અપહરણ:સંત કબીર રોડ પર આવેલી સોસાયટીમાં માનસિક અસ્થિર યુવતીનું અપહરણ
રાજકોટની સંતકબીર રોડ પર ભગીરથ સોસાયટીમાં રહેતી મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં આરોપી તરીકે સફેદ કલરની ફોર વ્હીલમાં આવેલા અજાણ્યા શખસનું નામ આપ્યું છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદી પોતાની મોટી પુત્રી સાથે બપોરના પોણા બારેક વાગ્યે ઘઉં દળાવવા ગયા હતા ત્યારે તેમની 22 વર્ષની માનસિક અસ્થિર નાની પુત્રી ઘરના ઓટલા પાસે બેઠી હતી. ત્યારબાદ ફરિયાદી પુત્રી સાથે ઘઉં દળાવીને પરત આવ્યા ત્યારે પડોશમાં રહેતા મહિલાએ સફેદ કલરની કારમાં તેમની પુત્રીને કોઇ ઉપાડી ગયાનું જણાવતા પતિને બોલાવી પોલીસ ફરિયાદ કરવા દોડી ગયા હતા. દરમિયાનમાં સોસાયટીમાં રહેતા રીક્ષાચાલક માનસિક અસ્થિર પુત્રીને શ્યામનગરમાં વાસંગીદાદાના મંદિર પાસેથી ઘેર લાવ્યા હતા. પુત્રીની પુછપરછ કરતા તેમણે એક જાડો છોકરો ગાડીમાં લઇ ગયાની અને બાદમાં રસ્તામાં ઉતારી દીધાનું જણાવ્યું હતું. પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
છરીથી હુમલો:કમિશનના પૈસાની ઉઘરાણી મુદ્દે બે ભાઈઓ પર છરીથી હુમલો
જૂના મિત્રો વચ્ચે રૂપિયાની ઉઘરાણી મામલે માથાકૂટ થતા ચા-પાનની કેબિન ધરાવતા મિત્રે યુવક અને તેના ભાઈ પર છરીથી હુમલો કર્યો અને બંને ભાઈઓને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા 4 શખ્સ વિરુદ્ધ એટ્રોસિટીની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. શહેરના જૂના મોરબી રોડ, શિવધારા સોસાયટી-01માં ભાડાના મકાનમાં રહેતા રાહુલ મુકેશભાઈ મકવાણા દ્વારા બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અભિષેક ઉર્ફે અભી બોરીચા અને કાળા કલરની સ્કોર્પિયો કારમાં આવેલા ત્રણ ઇસમના નામ આપ્યા હતા. રાહુલે ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેનો મોટોભાઈ જયેશ અગાઉ સેલ્ફ ડ્રાઇવિંગમાં કમિશનનું કામ કરતો હતો. રૂપિયાની ઉઘરાણી મામલે આ અભિષેક જયેશભાઈને ફોન કરી આડેધડ ગાળો ભાંડતો હોય જેનાથી ડરી જઈ જયેશભાઈ તેઓના જૂના ઘરે ગણેશનગરમાં જતા રહ્યા હતા. બાદમાં જયેશભાઈનો તેને કોલ આવ્યો કે, આપણે આ અભિષેકના પૈસા તેને આપી દઈએ. તું મને અહીં ગણેશનગરથી તેડી જા. તેણે પૈસા લઈને ભગવતીપરામાં આવવાનું કહ્યું છે. બંને ભાઈઓ ભગવતીપરા કોપરગ્રીન સોસાયટીની સામે આવેલા પુલ ઉપર હતા ત્યારે આ અભિષેક સ્કોર્પિયો કાર લઈને ત્યાં આવ્યો હતો. અભિષેક કારમાંથી ઉતર્યો અને આડેધડ માર મારવા લાગ્યો તથા ભૂંડી ગાળો ભાંડી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવા લાગ્યો હતો. બંને ભાઈઓ ઉપર છરીથી હુમલો કરતા બંને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.
જીવનસાથી પસંદગી મેળો:81 વર્ષના વૃદ્ધ, 78 વર્ષના વૃદ્ધા સહિત 285 સિનિયર સિટિઝન જોડાયા
શહેરની રાષ્ટ્રીય શાળા હોલ ખાતે અનુબંધ ફાઉન્ડેશન-અમદાવાદ તથા રાજકોટના બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ચોથીવાર રાજકોટમાં 45થી 75 વર્ષની ઉંમરના વડીલ સ્ત્રી-પુરુષ માટે જીવનસાથી પસંદગી સંમેલન યોજાયું હતું. જેમાં કુલ 250 પુરુષ અને 35 મહિલાઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં દિલ્હી, રાજસ્થાન, યુપી, મુંબઇ, નાગપુર સહિતના રાજ્ય અને શહેરમાંથી આવ્યા હતા. આ સંમેલન સર્વજ્ઞાતિય હતું. ઉપરાંત વિશેષ વાત તો એ છે કે, વડીલોમાં સૌથી વધુ ઉંમરમાંથી 81 વર્ષના વૃદ્ધ તથા 78 વર્ષના વૃદ્ધાએ ભાગ લીધો હતો. આ તકે સંસ્થા દ્વારા જાહેરાત કરાઇ કે, 2-3 મહિના બાદ જે પાત્રની પસંદગી કરી હોય અને લગ્ન માટે સંસ્થાનો સહકાર લે તો સંસ્થા તે યુગલને 3 દિવસ આબુમાં હનીમૂન માટે મોકલશે. સંસ્થાના પ્રમુખ નટુભાઇ પટેલએ જણાવ્યું હતું કે, આ કાર્યથી સમાજમાં એક સંદેશો પહોંચાડવો છે કે, મોટી ઉંમરે લગ્ન કરવા એ કોઇ પાપ નથી, કે કોઇ કાયદાની વિરુદ્ધ નથી તથા વિવાહ કરવાની કોઇ ઉંમર મર્યાદા હોતી નથી. મુંબઇથી પુત્રી માતાને લઇને પહોંચીઆ સંમેલનમાં મુંબઇથી પુત્રી આશાબેન વાઘેલા તેમના માતા જયશ્રીબેન માટે જીવનસાથી શોધવા આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. સંમેલનમાં પુત્રી તેના પિતાને લઇને પહોંચીપુત્રીએ સુરતથી તેના પિતાને બોલાવ્યા અને સંમેલનમાં પહોંચી. પુત્રી અન્ય સંતાનો માટે પ્રેરણારૂપ બની કેમ કે, સંતાનો તેના માતા-પિતા સાથે ખૂબ ઓછો સમય વિતાવતા હોય છે.
ST વિભાગનું આયોજન:હોળી-ધુળેટીમાં એસટી રાજકોટ સહિત રાજ્યમાં 1300 એક્સ્ટ્રા બસ દોડાવશે
હોળી અને ધુળેટીના પર્વ પર પોતાના વતનમાં પરિવાર સાથે તહેવાર ઉજવવા માગતાં નાગરિકો માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા એક્સ્ટ્રા બસનું સંચાલન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે મુસાફરોની ભારે ભીડને પહોંચી વળવા માટે ગત વર્ષ કરતાં વધુ એટલે કે કુલ 1300 વધારાની બસ દ્વારા 7500થી વધુ ટ્રિપનું રાજકોટ સહિત રાજ્યભરમાં આયોજન કરવામાં આવ્યું છે. ડાકોરમાં સુપ્રસિદ્ધ ફૂલડોલ ઉત્સવ અને દ્વારકામાં દર્શન માટે લાખોની સંખ્યામાં ઊમટતા ભાવિકો માટે નિગમ દ્વારા 450 એક્સ્ટ્રા બસ ફાળવવામાં આવી છે, જે અંદાજે 3500 ટ્રિપ મારફતે ભક્તોને મુસાફરી કરાવશે. રાજ્યના પરિવહન મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરાયું છે. હોળીના તહેવારમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં મુસાફરોનો પ્રવાહ વધુ રહેતો હોય છે. કામની વાત : તા.27 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી એક્સ્ટ્રા સંચાલન થશે
જંગલેશ્વરમાં કાલથી ડિમોલિશન:જંગલેશ્વર ખાતે 87 હજાર ચો.મી. જમીન થશે ખુલ્લી
રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો સામે મહાનગરપાલિકા દ્વારા ઐતિહાસિક અને સંવેદનશીલ ગણાતી મેગા ડિમોલિશન કાર્યવાહી સોમવારે સવારે 8 વાગ્યાથી શરૂ થવા જઈ રહી છે. આશરે 87 હજાર ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા 1489 જેટલા ગેરકાયદેસર મકાનો અને રચનાઓને તબક્કાવાર દૂર કરવા માટે તંત્રએ છેલ્લા એક મહિનાથી વ્યૂહાત્મક આયોજન કર્યું છે. આજી નદી પટ્ટા વિસ્તારમાં અંદાજે 55 હજાર ચોરસ મીટર વિસ્તારમાં આવેલા 992 મકાન અને ટી.પી. રોડ વિસ્તારમાં 32 હજાર ચોરસ મીટરમાં આવેલા 497 બાંધકામ દૂર કરાશે. દાયકાઓથી નદીના કુદરતી વહેણ અને ટી.પી.ના 15 મીટરના માર્ગ પર થયેલા દબાણોને કારણે વરસાદી મોસમમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થતી હતી. તંત્રના મત મુજબ, આ કાર્યવાહી બાદ નદીનું વહેણ સરળ બનશે અને ભવિષ્યમાં પૂર જેવી પરિસ્થિતિ અટકાવવામાં મદદ મળશે. મનપા અને પોલીસ તંત્રએ નાગરિકોને શાંતિ જાળવી સહકાર આપવા અપીલ કરી છે. તંત્રનું કહેવું છે કે, આ કાર્યવાહી શહેરના દીર્ઘકાલીન વિકાસ અને જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવી છે. ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર સુરક્ષા કારણોસર સમગ્ર રાજકોટ શહેરને “નો ડ્રોન ફ્લાય ઝોન” જાહેર કરાયું છે.ડ્રોન, ક્વાડકોપ્ટર, પેરાગ્લાઈડર, પેરા મોટર, હોટ એર બલૂન સહિતના હવાઈ ઉપકરણો ઉડાડવા પર પ્રતિબંધ રહેશે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, 2500થી વધુ પોલીસ જવાનો, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને અન્ય દળો એલર્ટ પર રહેશે. બહારના જિલ્લાઓમાંથી પણ ફોર્સ બોલાવવામાં આવી છે. શહેરમાં કલમ-144 અમલમાંમેગા ડિમોલિશનને સંવેદનશીલ ગણાતા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા તા.23થી 26 સુધી શહેરમાં કલમ-144 લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન પરવાનગી વગર ચારથી વધુ લોકો જાહેર સ્થળે ભેગા થઈ શકશે નહીં. સરકારી ફરજ પરના કર્મચારીઓ, હોમગાર્ડ, સ્મશાનયાત્રા અને લગ્ન વરઘોડાને આ પ્રતિબંધમાંથી છૂટ આપવામાં આવી છે. જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે. 7 ઝોનમાં વિભાજન, 1130થી વધુ સ્ટાફની તૈનાતીસંપૂર્ણ વિસ્તારને 7 અલગ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. દરેક ઝોનમાં વર્ગ-1 અધિકારીઓ, તકનીકી સ્ટાફ, સુપરવાઈઝર અને ફિલ્ડ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. 64થી વધુ JCB, 84 ટ્રેક્ટર, 7 હિટાચી મશીન, 50 બ્રેકર, 42 ગેસ કટર અને 14 ડમ્પર સહિત 260થી વધુ મશીનો સાથે માઇક્રો પ્લાનિંગ કરાયું છે. વિશેષ કંટ્રોલ રૂમ સ્થાપિત કરી તમામ ઝોનમાંથી માહિતી મેળવી કામગીરીનું સતત મોનિટરિંગ કરાશે. 25 ડ્રોન કેમેરા અને 30 વોકીટોકી સેટ દ્વારા સ્થળ પર નજર રાખવામાં આવશે. ડિમોલિશન પૂર્વે તંત્રએ નોટિસ આપી સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા અપીલ કરી હતી. અત્યાર સુધી 224થી વધુ પરિવાર પોતાના મકાન ખાલી કરી ચૂક્યા છે. મનપાએ આવા પરિવારોને સામાન પરિવહન માટે ટ્રેક્ટરની વ્યવસ્થા કરી સહયોગ આપ્યો છે. કેટલાક વિસ્તારોમાં મહિલાઓ અને બાળકોમાં ભયનો માહોલ જોવા મળ્યો, તો કેટલાક સ્થળે પોલીસ અને રહેવાસીઓ વચ્ચે રકઝક થઇ હતી.
ડિજિટલ ગુજરાતના સંકલ્પને વધુ એક ડગલું આગળ વધારતા ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા દિવ્યાંગ મુસાફરો માટે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. હવેથી એસ.ટી. બસમાં મફત મુસાફરીનો લાભ લેતા દિવ્યાંગોએ ફરજિયાતપણે પાસની હાર્ડકોપી (અસલ પાસ) સાથે રાખવાની જરૂર રહેશે નહીં. જો દિવ્યાંગ મુસાફર પોતાના મોબાઇલમાં ‘ડિજીલોકર’ એપમાં રહેલો ડિજિટલ બસ પાસ બતાવશે, તો કંડક્ટરે તેને માન્ય રાખી મુસાફરી કરવા દેવી પડશે. નવા પરિપત્ર મુજબ, હવે જો કોઈ દિવ્યાંગ મુસાફર પાસે બસ પાસની હાર્ડકોપી ઉપલબ્ધ ન હોય, પરંતુ તે પોતાના મોબાઈલમાં સુરક્ષિત રાખેલું ડિજિટલ બસ પાસનું પ્રમાણપત્ર બતાવે, તો તેને મુસાફરી માટે માન્ય રાખવું પડશે. આ વ્યવસ્થાને કારણે દિવ્યાંગજનોને વધુ સુગમ્ય અને ટેક્નોલોજી સભર વાતાવરણ પૂરું પાડવાનો ઉમદા હેતુ પાર પડશે. ડિજીલોકરમાં ઉપલબ્ધ આ ડિજિટલ બસ પાસની વિશ્વસનીયતા તપાસવા માટે તેમાં QR કોડની સુવિધા પણ આપવામાં આવી છે. બસ કંડક્ટર કે ચેકિંગ સ્ટાફ આ QR કોડ સ્કેન કરીને પાસ અસલ છે કે નહીં તેની ત્વરિત ખાતરી કરી શકશે. આ વ્યવસ્થાથી બસ પાસની છેતરપિંડી પર પણ લગામ લાગશે. પાસ ખોવાઈ જવાના, દુરુપયોગના કિસ્સા વધ્યા હતાએસ.ટી નિગમને ફરિયાદો મળી રહી હતી કે ઘણીવાર મુસાફરી દરમિયાન દિવ્યાંગ લાભાર્થીઓનો બસ પાસ ખોવાઈ જાય છે અથવા ફાટી જાય છે. આ ઉપરાંત, ડુપ્લિકેટ કે ખોટા બસ પાસના દુરુપયોગના કિસ્સાઓ પણ સામે આવતા હતા. આ તમામ પ્રશ્નોના નિરાકરણ માટે અને દિવ્યાંગોને વધુ સુગમ્ય વાતાવરણ પૂરું પાડવાના ઉમદા હેતુથી સરકાર દ્વારા બસ પાસને ડિજીલોકરમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. કંડક્ટર-ડ્રાઈવરને અપાઈ કડક સૂચના એસ.ટી.નિગમના મુખ્ય પરિવહન અને વાણિજ્ય વ્યવસ્થાપક દ્વારા રાજ્યના તમામ વિભાગીય નિયામકોને પત્ર લખીને તાત્કાલિક અમલવારી કરવા આદેશ અપાયો છે. ડેપો મેનેજર સ્તરેથી તમામ ડ્રાઈવર અને કંડક્ટર્સને આ અંગેની સમજણ આપવા અને સૂચના રજિસ્ટરમાં તેમની સહીઓ લેવા માટે પણ જણાવાયું છે, જેથી કોઈ દિવ્યાંગ મુસાફરને મુસાફરી દરમિયાન મુશ્કેલી ન પડે.
વિજ્ઞાન પ્રવાહનો મોહભંગ:રાજકોટમાં 9 વર્ષમાં ધો.12માં 34% વિદ્યાર્થી ઘટી ગયા!
એક સમય હતો જ્યારે ધોરણ 10 પછી તેજસ્વી વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ‘સાયન્સ’ લેવું એ પ્રતિષ્ઠાનો પ્રશ્ન ગણાતો હતો, પરંતુ આજે ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. રાજકોટ જેવા એજ્યુકેશન હબ ગણાતા શહેરમાં છેલ્લા 9 વર્ષના આંકડાઓ શિક્ષણ જગત માટે લાલબત્તી સમાન છે. વર્ષ 2018માં જ્યાં રાજકોટમાં 10,627 વિદ્યાર્થી 12 સાયન્સમાં નોંધાયા હતા, તે વર્ષ 2026 સુધીમાં ઘટીને માત્ર 7,934 થઈ ગયા છે. આ 34% જેટલો જંગી ઘટાડો દર્શાવે છે કે વિજ્ઞાન પ્રવાહ પ્રત્યેનો આકર્ષણનો ગ્રાફ ચિંતાજનક રીતે નીચે જઈ રહ્યો છે. આ ઘટાડા પાછળ માત્ર એક કારણ જવાબદાર નથી, પરંતુ અનેક આર્થિક અને સામાજિક પરિબળોનું મિશ્રણ છે. મધ્યમ વર્ગના પરિવારો માટે વિજ્ઞાન પ્રવાહ હવે આર્થિક રીતે ‘અસહ્ય’ બની રહ્યો છે. શાળાની ઊંચી ફીથી માંડીને NEET, JEE અને GUJCET જેવી પ્રવેશ પરીક્ષાઓની મોંઘી કોચિંગ ફી અને ત્યારબાદ મેડિકલ કે એન્જિનિયરિંગના અભ્યાસક્રમોમાં વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ વાલીઓની કમર તોડી રહ્યો છે. બીજી તરફ, 5 વર્ષના લાંબા અને ખર્ચાળ અભ્યાસ બાદ પણ ડિગ્રી મેળવ્યા પછી બજારમાં પૂરતી રોજગારીનો અભાવ અને બેરોજગારીનો ડર વિદ્યાર્થીઓને અન્ય વિકલ્પો શોધવા મજબૂર કરી રહ્યો છે. ખાસ કરીને યુપીએસસી અને જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા સરકારી નોકરી મેળવવાની ઘેલછાને કારણે હવે વિદ્યાર્થીઓ સાયન્સને બદલે ગ્રેજ્યુએશન માટે આર્ટસ ફેકલ્ટી તરફ વળી રહ્યા છે.રાજકોટમાં જોવા મળતો આ ટ્રેન્ડ સૂચવે છે કે, શિક્ષણ હવે માત્ર જ્ઞાન મેળવવાનું સાધન નથી રહ્યું, પરંતુ તે એક મોટું રોકાણ બની ગયું છે. જ્યારે આ રોકાણ સામે વળતર (પગાર/નોકરી) મળવાની ખાતરી ઘટે છે, ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓ જોખમ લેવા તૈયાર થતા નથી. પરિણામે સાયન્સ જેવી પ્રતિષ્ઠિત શાખા પણ આજે સંઘર્ષ કરી રહી છે. ધોરણ-12 સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવાના આ રહ્યા 10 મુખ્ય કારણો ગુજરાતમાં 15,176 વિદ્યાર્થી ઘટી ગયા!ગુજરાતમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં જોવા મળેલો ઘટાડો શિક્ષણ જગત માટે ચિંતાનો વિષય છે. વર્ષ 2018માં જ્યાં 1,34,439 વિદ્યાર્થી નોંધાયા હતા, ત્યાં વર્ષ 2026માં આ આંકડો ઘટીને 1,19,263 પર પહોંચી ગયો છે. છેલ્લા 9 વર્ષમાં કુલ 15,176 વિદ્યાર્થી ઘટ્યા છે. આ આંકડાકીય ઘટાડો અંદાજે 11.29% જેટલો થાય છે. રાજકોટમાં 9 વર્ષમાં આટલા વિદ્યાર્થી ઘટ્યા ભાસ્કર એક્સપર્ટ: મોંઘું શિક્ષણ, અનિશ્ચિત ભવિષ્યના ડરે સાયન્સનો ગ્રાફ નીચે લાવી દીધો હાલમાં બોર્ડના પરિણામ કરતા NEET/JEE જેવી એન્ટ્રન્સ ટેસ્ટનું મહત્ત્વ વધ્યું છે. આ પરીક્ષાઓ પાસ કરવા સ્કૂલ ઉપરાંત લાખોની ફી ભરી અલગ કોચિંગ લેવું પડે છે. આ બેવડી મહેનત અને આર્થિક તણાવને કારણે તેજસ્વી વિદ્યાર્થીઓ પણ અન્ય પ્રવાહ પસંદ કરી રહ્યા છે. સાયન્સના અભ્યાસ બાદ મેડિકલ કે એન્જિનિયરિંગમાં વાર્ષિક રૂ. 80 હજારથી રૂ. 18 લાખ સુધીની ફી મધ્યમ વર્ગ માટે અસહ્ય છે. લાખોના રોકાણ અને 5 વર્ષના લાંબા અભ્યાસ સામે નોકરીમાં શરૂઆતી પગાર ઘણો ઓછો હોવાથી વાલીઓ હવે આ ‘મોંઘા સોદા’થી બચી રહ્યા છે. ડિગ્રી મેળવ્યા બાદ આશરે માત્ર 15% ટેલેન્ટેડ વિદ્યાર્થીઓને જ સારી જોબ મળે છે. આના કારણે વિદ્યાર્થીઓ સાયન્સના બદલે પ્રોફેશનલ કોમર્સ કે આર્ટસ તરફ વળ્યા છે. રાજકોટ જેવા શહેરોમાં સાયન્સ ભણવા માટે માત્ર ટ્યુશન જ નહીં, પણ હોસ્ટેલ અને અન્ય ખર્ચાઓ સામાન્ય પરિવારના બજેટને ખોરવી નાખે છે. — સંજય પંડ્યા, ઉપપ્રમુખ, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ
સોમવારે ફાગણ સુદ આઠમથી હોળાષ્ટક બેસી જશે અને 2 માર્ચ ફાગણ સુદ પૂનમ સુધીના આઠ દિવસ રહેશે. એટલે 2 માર્ચ ને સોમવારે હોળી મનાવાશે અને 3 માર્ચ ને મંગળવારે ધુળેટી. જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યા પ્રમાણે સોમવારે સાંજે 6.40 વગ્યાથી રાત્રે 09.08 વાગ્યા સુધી હોળી પ્રગટાવાશે. આ સમયે પ્રદોષ કાળ હોવાથી શાસ્ત્રસંમત પણ છે. 2 માર્ચે સાંજે 5.58થી પૂનમ બેસશે અને બીજા દિવસે, 3 માર્ચે સાંજે 6.52 સુધી રહેશે. સ્કંદ પુરાણ અને ભવિષ્ય પુરાણના વર્ણન તથા જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે હોળાષ્ટકમાં સૂર્ય, ચન્દ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રાહુ - આ 8 ગ્રહની પ્રતીકાત્મક ઉગ્રતા મનાય છે. આ કારણે લગ્ન, ચૌલકર્મ, ગૃહપ્રવેશ કે નવા વેપારનો આરંભ કરવાનું વર્જિત ગણાય છે. ભક્ત પ્રહ્લાદની 8 દિવસની યાતના એટલે હોળાષ્ટકદૈત્યરાજ હિરણ્યકશિપુના પુત્ર પ્રહ્લાદ ભગવાન વિષ્ણુના પરમ ઉપાસક હતા. એટલે હિરણ્યકશિપુએ નાનકડા પ્રહ્લાદને અનેક યાતનાઓ આપી અને કથા અનુસાર ફાગણ સુદ આઠમથી પૂનમ સુધી પ્રહ્લાદે અનેક યાતના સહી અને પૂનમના દિવસે પ્રહ્લાદને જીવતા જ ભસ્મ કરવાનો આદેશ કરાયો. આથી આ 8 દિવસને હોળાષ્ટક કહેવાય છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે હોળાષ્ટકમાં ગ્રહદશા અનુસાર આ ઉપાયો કરી શકાય
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ટ્રમ્પ સંબંધિત રહ્યા. અમેરિકન રાષ્ટ્રપતિએ વધુ એક ટેરિફ બોમ્બ ઝીંક્યો છે. ટ્રમ્પે 24 કલાકમાં ગ્લોબલ ટેરિફ 10થી વધારીને 15% કર્યો. બીજા સમાચાર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સંબંધિત રહ્યા. તેમના પર બાળકોના યૌન શોષણનો કેસ દાખલ થશે⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી મેરઠમાં 12,930 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ શરૂ કરશે. 2. સુપર-8 માં ભારતનો પ્રથમ મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે અમદાવાદમાં રમાશે. 3. પ્રધાનમંત્રી મોદી રેડિયો ઉપર 'મન કી બાત' કાર્યક્રમ કરશે. આ કાર્યક્રમનો 131મો એપિસોડ છે. કાલના મોટા સમાચારો 1. ટ્રમ્પે 24 કલાકમાં ગ્લોબલ ટેરિફ વધારીને 15% કર્યો: અમેરિકી સુપ્રીમ કોર્ટે ટેરિફ રદ કર્યા, પછી નારાજ ટ્રમ્પે 10% ટેરિફ લગાવ્યો હતો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્લોબલ ટેરિફ 10%થી વધારીને 15% કરવાની જાહેરાત કરી છે. તેમણે શનિવારે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને આ જાણકારી આપી. આ પહેલા ટ્રમ્પે શુક્રવારે રાત્રે પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ દેશો પર 10% ટેરિફ લગાવવાની વાત કહી હતી. ખરેખરમાં, અમેરિકી સુપ્રીમ કોર્ટે શુક્રવારે ટ્રમ્પ દ્વારા વિશ્વભરના દેશો પર લગાવવામાં આવેલા ટેરિફને રદ કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે 6-3ના બહુમતીથી ચુકાદો આપતા કહ્યું કે ટ્રમ્પને IEEPA કાયદાનો ઉપયોગ કરવાનો અધિકાર નથી. આ અધિકાર રાષ્ટ્રપતિને નહીં, ફક્ત સંસદને છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. અવિમુક્તેશ્વરાનંદ પર બાળકોના યૌન શોષણનો કેસ દાખલ થશે:પ્રયાગરાજ કોર્ટે આદેશ આપ્યો; રામભદ્રાચાર્યના શિષ્યે કોર્ટમાં 2 પીડિત બાળકો રજૂ કર્યા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી વિરુદ્ધ નાના બાળકોના યૌન શોષણની FIR નોંધવાના આદેશ શનિવારે પ્રયાગરાજની પોક્સો કોર્ટે આપ્યા. જગદ્ગુરુ રામભદ્રાચાર્યના શિષ્ય આશુતોષ બ્રહ્મચારી મહારાજે કોર્ટમાં 2 બાળકોને રજૂ કરીને આ આરોપો લગાવ્યા હતા. કેમેરા સામે કોર્ટમાં બાળકોના નિવેદનો નોંધાયા હતા. સ્પેશિયલ જજ પોક્સો એક્ટ વિનોદ કુમાર ચૌરસિયાની કોર્ટે પ્રયાગરાજ પોલીસ કમિશનરના તપાસ રિપોર્ટ બાદ કેસ નોંધવાના આદેશ જારી કર્યા. ફરિયાદી આશુતોષ બ્રહ્મચારીએ કહ્યું, “અમે ઘરે ઘરે ભટકતા હતા. અમે પોલીસ પાસે જઈ રહ્યા હતા. અમારી વાત સાંભળવામાં આવી રહી ન હતી. તેથી જ અમે ન્યાયના મંદિરમાં આવ્યા. આજે, અમને લાગે છે કે ન્યાય હજુ પણ જીવંત છે.” વાંચો સંપૂર્ણ સમાચાર 3. SIRમાં રાજસ્થાન-MP સહિત 4 રાજ્યોમાં 99.58 લાખ નામ રદ થયા:7 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIRની અંતિમ યાદી પ્રકાશિત; બંગાળમાં 28 ફેબ્રુઆરીએ યાદી આવશે દેશના 12 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)નો બીજો તબક્કો તેના અંતિમ ચરણમાં છે. ચૂંટણી પંચે શનિવારે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને કેરળની અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરી. એમપીમાં 5.39 કરોડ, રાજસ્થાનમાં 5.15 કરોડ, કેરળમાં 2.69 કરોડ અને છત્તીસગઢમાં 1.87 કરોડ નામ અંતિમ મતદાર યાદીમાં છે. આ ચાર રાજ્યોમાં કુલ 99 લાખ, 58 હજાર 398 મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે. SIR પ્રક્રિયામાં એમપીમાં 34.25 લાખ, રાજસ્થાનમાં 31.36 લાખ, છત્તીસગઢમાં 24.99 લાખ અને કેરળમાં 8.97 લાખ લોકોના નામ કાપવામાં આવ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 4. પોલીસનો દાવો- AI સમિટમાં પ્રદર્શન નેપાળના Gen-Z આંદોલનથી પ્રેરિત:કોંગ્રેસ વિરુદ્ધ ભાજપનું દેશભરમાં વિરોધ પ્રદર્શન, મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીને કાળા ઝંડા બતાવ્યા દિલ્હીમાં ભારત મંડપમમાં AI સમિટમાં હંગામો કરનાર કોંગ્રેસના ચારેય કાર્યકર્તાઓને આજે પટિયાલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. પોલીસે કહ્યું કે પ્રદર્શન કરનારા નેપાળના Gen-Z આંદોલનથી પ્રેરિત હતા. આ પ્રદર્શન એક મોટા ષડયંત્રનો ભાગ હતો. હંગામા દરમિયાન ઘણા ગ્લોબલ લીડર્સ અને ટેક ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો ત્યાં હાજર હતા. પોલીસે કહ્યું કે અમારે તપાસ કરવાની છે કે આરોપીઓએ PM મોદીના ચહેરાવાળી ટી-શર્ટ પહેરી હતી, તેને કોણે પ્રિન્ટ કરાવી હતી. આ બધાના મોબાઈલ રિકવર કરવાની પણ જરૂર છે. આ પછી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ રવિએ તમામ ચાર આરોપીઓને 5 દિવસની પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા. BJP દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત અને જમ્મુ-કાશ્મીરમાં પ્રદર્શન કરી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ભાજપના ધારાસભ્ય 5 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા:કર્ણાટક લોકાયુક્ત પોલીસે પ્લાન બનાવીને પકડ્યા, કોન્ટ્રાક્ટર પાસેથી 11 લાખ રૂપિયા માંગ્યા હતા કર્ણાટક લોકાયુક્ત પોલીસે શનિવારે ભાજપના ધારાસભ્ય ચંદ્રુ લામાણીને 5 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ પકડ્યા. આ કાર્યવાહી ગદગ લોકાયુક્ત પોલીસે એક કોન્ટ્રાક્ટરની ફરિયાદના આધારે જાળ બિછાવીને કરી હતી. લોકાયુક્ત અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ લાંચની માગ લઘુ સિંચાઈ વિભાગના કામો સાથે સંબંધિત હતી, જેમાં રસ્તાની બાજુમાં રિટેનિંગ વોલ બનાવવાનું કામ સામેલ હતું. આરોપ છે કે ધારાસભ્યએ કામ કરાવવા માટે કોન્ટ્રાક્ટર પાસેથી 11 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જાળ બિછાવવાની કાર્યવાહી દરમિયાન 5 લાખ રૂપિયા લેતી વખતે તેમને પકડવામાં આવ્યા. શિરહટ્ટી વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્ય સાથે તેમના અંગત સહાયક મંજુનાથ વાલ્મીકિ અને ગુરુ નાયકને પણ આ મામલે અટકાયતમાં લેવામાં આવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. બિલ્ડર તુષાર ઘેલાણીને 'મહિલામિત્ર'એ મરવા મજબૂર કર્યાની ફરિયાદ:બિઝનેસમેનની ઓફિસમાં પૂનમ એક સમયે રિસેપ્શનિસ્ટ હતી, 2025માં બિલ્ડરે 1 કરોડની બે દુકાન તેના નામે કરી હતી સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં ઉમરા પોલીસે તેમની મહિલા મિત્ર પૂનમ ભાદોરિયા સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેની અટકાયત કરી છે. તુષાર ઘેલાણીના પરિવારે પૂનમ ભાદોરિયા વિરુદ્ધ અરજી કરી આક્ષેપ કર્યો હતો કે તે તુષાર ઘેલાણીને બ્લેકમેલિંગ કરતી હતી. પૂનમ ભાદોરિયાએ બિલ્ડર પાસેથી દુકાનથી માંડીને અમુક મિલકતો પણ પડાવી લીઘી હતી. તુષાર ઘેલાણી પૂનમ ભાદોરિયાથી છુટકારો મેળવવા માગતા હતા, પરંતુ તે પીછો છોડતી ન હતી. વળી, દીકરીના લગ્નમાં આ પૂનમ ભાદોરિયાએ હોબાળો કરવાની પણ ધમકી આપી હતી, આથી તુષાર ઘેલાણીએ બદનામી થવાના ડરને કારણે આપઘાત કર્યાનું જણાવ્યું હતું, જોકે સામે પક્ષે પૂનમ ભાદોરિયા દ્વારા પણ પોલીસમાં અરજી કરવામાં આવી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 7. કીર્તિ પટેલના ત્રાસથી યુ ટ્યૂબર 'જિદ્દી બોય'એ ફિનાઇલ પીધું:20 લાખની ખંડણી માગી, દુષ્કર્મના કેસમાં ફિટ કરવાની ધમકી આપી, 12 કલાક બાદ કીર્તિની ફ્રેન્ડ દિવ્યાએ પણ ઝેર ગટગટાવ્યું વિવાદોનું બીજું નામ બનેલી કીર્તિ પટેલ સામે જૂનાગઢમાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જૂનાગઢના યુ ટ્યૂબર યુવકે કીર્તિ પટેલ અને તેની ટોળકીના ત્રાસથી ફિનાઈલ પી લેતાં કીર્તિ, દિવ્યા સહિત પાંચ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મૃગીકુંડમાં સ્નાન કરી કીર્તિ પટેલે વિવાદ સર્જતાં જૂનાગઢના યુ ટ્યૂબર અબજલ સીડાએ યુ ટ્યૂબ પર લાઈવ કર્યું હતું. જેના કારણે કીર્તિ પટેલના ફોલોઅર્સ ઘટી ગયા હોવાનું કહી અબજલ પાસે રૂપિયા 20 લાખની ખંડણી અને ખોટા દુષ્કર્મના કેસમાં ફિટ કરવાની ધમકી આપી હતી, જેના કારણે અબજલ સીડાએ બેવાર ફિનાઈલ ગટગટાવી લેતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. મહત્ત્વનું છે કે કીર્તિ પટેલ સામે છેલ્લા સાત દિવસમાં જૂનાગઢમાં આ ત્રીજો ગુનો નોંધાયો છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : અજિત પવારના ભત્રીજાનો આરોપ- પ્લેન ક્રેશ મોટું ષડયંત્ર:અકસ્માત સમયે ઘણા વિસ્ફોટ થયા હતા, વિમાનમાં પેટ્રોલના ડબ્બા રાખવામાં આવ્યા હતા વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : હાશ ! ભારતનો 18% ટેરિફ પણ ખતમ:હવે માત્ર 10% ટેરિફ જ ભરવો પડશે; US સુપ્રીમ કોર્ટે જૂના બધા ટેરિફ રદ કરી નાખ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : બ્રાઝિલના રાષ્ટ્રપતિએ પહેલગામ આતંકી હુમલાની નિંદા કરી:ભારત-બ્રાઝિલ વચ્ચે ક્રિટિકલ મિનરલ્સ સમજૂતી, મોદીએ કહ્યું- 5 વર્ષમાં 20 અબજ ડોલરના વેપારનું લક્ષ્ય વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : લિક્વિડ ગેસ લઈ જતી ટ્રક પલટી, VIDEO:ચિલીની રાજધાનીમાં વિસ્ફોટથી ભારે તબાહી, રસ્તા પર આગની જ્વાળાઓ; 4નાં મોત, 17 ઘાયલ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : 1 એપ્રિલથી રોકડમાં ટોલ ચૂકવી શકાશે નહીં:ફાસ્ટેગ કે UPIથી જ થશે પેમેન્ટ, રોકડ વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવાની તૈયારી વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન-ન્યૂઝીલેન્ડ સુપર 8 મેચ વરસાદને કારણે ધોવાઈ:બન્ને ટીમને એક-એક પોઇન્ટ મળ્યો, સેમિફાઈનલમાં પહોંચવા માટે બધી મેચ જીતવી જરૂરી વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : વિનાયક ચતુર્થી:માતા પાર્વતીને રીઝવવા શિવજીએ કર્યું હતું ગણેશજીનું વ્રત, જાણો પર્વનું મહત્ત્વ વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ ફ્લાઈંગ કિસ આપવા બદલ યુવકને 3 વર્ષની જેલ મુંબઈની એક સ્પેશિયલ કોર્ટે એક છોકરીને ફ્લાઈંગ કિસ આપવાના આરોપમાં એક યુવકને 3 વર્ષની જેલની સજા સંભળાવી છે. ત્યારે છોકરી 16 વર્ષની અને આરોપી 19 વર્ષનો હતો. મહોલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન આરોપીએ છોકરીને ફ્લાઈંગ કિસ આપી હતી. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર ઈન્ટરવ્યૂ : 'હનુમાન ચાલીસા માટે ગમે ત્યાં ઊભા રહી જઈશું': પ્રવીણ તોગડિયાએ કહ્યું, હિન્દુ શૌર્યવાન હોવા છતાં લૂંટાઇ ગયા, શંકરાચાર્ય-યોગી વિવાદ પર શું બોલ્યા? 2. આજનું એક્સપ્લેનર: ટ્રમ્પના ટેરિફ કેમ રદ થયા, શું ભારત ટ્રેડ ડીલ અટકશે? અમેરિકા હજારો કરોડ પરત આપશે? 7 સવાલમાં જાણો બધું જ 3. '18 કરોડ લોકોને બરબાદ કર્યા, ભારત હસીનાને પરત મોકલે': PM રહેમાનના નજીકના સાંસદે કહ્યું, દિલ્હી ભૂલ સુધારે ત્યારે જ સંબંધો સુધરશે 4. સંઘર્ષ, ટ્રોમા-રિજેક્શનમાં તપીને ભૂમિ પેડનેકર 'હિરો'ઇન બની!: ઝીરો સાઈઝના વહેમને તોડી એક્ટિંગના દમ પર બોલિવૂડમાં સામ્રાજ્ય ઊભું કર્યું; એક્ટ્રેસની 'ફેટ ટુ ફિટ' સુધીની સફર 5. પારકી પંચાત : પંખા ફાસ્ટ થયા ને નેતાઓના કુર્તા ઊડ્યા: ભાજપનાં ધારાસભ્ય મેડમનો ધમાકેદાર ડાન્સ વાઇરલ, AMCની સભામાં ‘I LOVE YOU’, ચેરમેન શરમાયા ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ: મેષ રાશિના જાતકોના પ્રેમ સંબંધોને પરિવારની મંજૂરી મળશે, વૃશ્ચિક અને મકર જાતકોને લગ્નનો યોગ વાંચો સંપૂર્ણ રાશિફળ
પેપર રિવ્યુ:AI ટૂલના દુરુપયોગ અંગે તંત્રીને પત્ર લખવા સહિતના પ્રશ્નો પુછાયા
સીબીએસઈની ધોરણ 10નું અંગ્રેજીનું પ્રશ્નપત્ર એકંદરે સરળ હોવાનો મત વિષય નિષ્ણાત શિક્ષક વિપુલ ત્રિવેદીએ વ્યક્ત કર્યો હતો. આ પરીક્ષામાં એ, બી અને સી સેક્શનમાં કુલ 80 માર્ક્સના 11 જેટલા પ્રશ્નો ફરજિયાત પૂછાયા હતા. સેક્શન-એમાં રીડિંગ સ્કીલ, સેક્શન-બીમાં ગ્રામર ક્રિએટિવ રાઇટિંગ અને સેક્શન-સીમાં પુસ્તક આધારિત સાહિત્યને લગતા પ્રશ્નો પુછાયા હતા. સેક્શન-બીમાં ક્રિએટિવ રાઇટિંગ સ્કિલ સેક્શનમાં ‘જાણીતા દૈનિકના તંત્રીને આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલના વિદ્યાર્થીઓ દ્વારા કરાતા દુરુપયોગ અંગે શિક્ષકને પત્ર લખો’ તેવો પ્રશ્ન પુછાયો હતો. બીજી તરફ ‘પોતાના વિસ્તારમાં નબળા વીજ પુરવઠાના કારણે ચેઈન સ્નેચિંગ સહિતના ગુના બનતા હોવા અંગે મ્યુનસિપલ કમિશનરને ફરિયાદ કરતો પત્ર લખો’ તેવો પ્રશ્ન પુછાયો હતો. વિષય નિષ્ણાત શિક્ષક વિપુલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ‘સેક્શન એમાં ભારતમાં ઈલેક્ટ્રિકલના વ્યાપ સહિતના પ્રશ્ન પુછાયા હતા. આ પ્રશ્નો વિદ્યાર્થીઓના સામાન્ય જ્ઞાન, બુદ્ધિ અને ભાષા અંગેના જ્ઞાનની ચકાસણી કરે તેવા હતા. સેક્શન બી ગ્રામરમાં કાળ, કન્વર્ઝેશન, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચને લગતા પ્રશ્નો પુછાયા હતા. મોબાઇલ સ્ક્રીન ટાઇમનો ઉપયોગ કેટલો થાય છે તેનું વિવરણ કરો તેવો પ્રશ્ન પુછાયો હતો. સેક્શન-સીમાં ક્વેશ્ચન આન્સર એટલે કોમ્પ્રીહેન્શન પર્યાવરણ આધારિત પૂછાયો હતો. સેક્શન-સીમાં પ્રશ્ન નંબર 10 અને 11માં ખાનગી પ્રકાશનોના પ્રેક્ટિસ પેપરમાં દર્શાવેલા પ્રશ્નપત્રમાંથી પ્રશ્નો પુછાયા હતા. ઓવરઓલ પ્રશ્નપત્ર એકદમ સહેલું કે એકદમ અઘરું ન કહી શકાય તે પ્રકારનુ પૂછવામાં આવ્યું હતું.’ 25મીએ સાયન્સની, 27મીએ કૅમિસ્ટ્રીની પરીક્ષાઆગામી 24મી ફેબ્રુઆરીએ મંગળવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ એલિમેન્ટ ઓફ બિઝનેસ (એકાઉન્ટ્સ) વિષયની પરીક્ષા છે. ધોરણ 10 સીબીએસઈની સાયન્સની પરીક્ષા 25મી ફેબ્રુઆરીએ છે. જ્યારે 26મી ફેબ્રુઆરીએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર વિષયનુ પ્રશ્નપત્ર છે. જ્યારે ધોરણ 12 સાયન્સમાં 27મી ફેબ્રુઆરીએ કેમેસ્ટ્રીનુ પ્રશ્નપત્ર છે.બીજી માર્ચે ધોરણ 10માં હિન્દી અને ધોરણ 10માં સોશિયલ સ્ટડીસ વિષયની પરીક્ષા છે.
લ્યો બોલો!:ગટર સફાઈ માટે વર્ષે 27 કરોડ ચૂકવાયા પણ સ્થિતિ ઠેરની ઠેર
શહેરમાં જ્યાં સાંકડા રસ્તાઓ ચાલી, પોળ કે તેવા સ્થળે મશીનોથી ગટરની સફાઈ થઈ શકતી નથી તેવા વિસ્તારોમાં મ્યુનિ. વિવિધ મંડળીઓ મારફતે સફાઈ કરાવે છે. છેલ્લા એક વર્ષમાં 795 સોસાયટીને રૂ. 26.96 કરોડ રકમ ચૂકવી દેવાઈ છે, તેમ છતાં ગટરો ઊભરાવાની સમસ્યા યથાવત્ છે. મ્યુનિ. વિપક્ષી નેતા નેતા શહેજાદખાન પઠાણે કહ્યું કે, ખાસ કરીને ચોક્કસ વિસ્તારમાં ગટરો ઉભરાવી, પાણીજન્ય રોગચાળો ફેલાવવો જેવી સમસ્યા ઊભી થાય છે. શહેરમાં ઉત્તર ઝોનમાં સૌથી વધુ 195 મંડળી છે તેમને 7 કરોડની રકમ ચૂકવાઈ છે. ઝોન પ્રમાણે ચૂકવાયેલી રકમ
સરકારની પોલિસીનો ફિયાસ્કો:9 માસમાં વાહન સ્ક્રેપ માટે કોઈએ નોંધણી ન કરાવી
અમદાવાદ સહિત રાજ્યમાં જૂના વાહનોના સ્ક્રેપ માટે જાહેર કરાયેલી સરકારી પોલિસીનો ફિયાસ્કો થયો હોય તેવું લાગે છે. છેલ્લા 9 મહિનામાં અમદાવાદ આરટીઓ ખાતે એક પણ ખાનગી વાહનમાલિકે સ્ક્રેપ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું નથી. લોકોને સ્ક્રેપ માટે વળતરની જે રકમ આપવામાં આવે છે તે વાસ્તવિક કિંમત કરતાં ઘણી ઓછી હોવાથી લોકો વાહન સ્ક્રેપમાં આપવા માટે નોંધણી કરાવતા નથી. સરકાર કરતાં કબાડી માર્કેટમાં વાહન આપે તો પાર્ટ્સના રૂ.500થી 1 લાખ સુધીની કિંમત મળે છે. અમદાવાદ સહિત રાજ્યમાં 5થી 6 સ્ક્રેપ સેન્ટર છે. આમ વાહન વ્યવહાર વિભાગે બનાવેલી પોલિસીનો ફિયાસ્કો થયો છે. 17 વર્ષ જૂનાં વાહનના ખાનગી કંપનીએ સ્ક્રેપ માટે 50 હજારની વાત કરી તો કબાડીમાં 70 હજાર મળશેઅમદાવાદ આરટીઓ ખાતે એક અરજદાર 17 વર્ષ જૂનું વાહન લઈને આવ્યું હતું. સ્ક્રેપ માટે ખાનગી એજન્સીએ તેમને રૂ.50 હજાર આપવાની કરી, કબાડી માર્કેટમાં પૂછ્યું તો 70 હજાર આપવાની વાત કરી હતી. પોલિસીના સફળ અમલ માટે ભાવ સરખી રીતે નક્કી કરોઅમદાવાદના આરટીઓએ જણાવ્યું કે વાહન સ્ક્રેપ કરાવવા માટે કેટલાક લોકો આવ્યા હતા, પરંતુ જે રકમ અપાતી હતી તેનાથી વધુ રકમ ભંગારમાં મળતી હતી. સ્ક્રેપ પોલિસી સફળ થાય તે માટે વાહનની કિંમતના ભાવ સરખી રીતે નક્કી કરવામાં આવવા જોઈએ.
છેલ્લા કેટલાક દિવસોથી પીજીનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે પશ્ચિમ વિસ્તારની 80થી વધુ સોસાયટીઓએ પીજી બંધ કરાવવા લેખિત ફરિયાદો કરી છે. જોકે મ્યુનિ.ના હોસ્ટલ-લોજિંગને લગતાં નિયમો લગભગ એકપણ પીજી પૂર્ણ કરી શકે તેમ નથી. ખરેખર તો કડક નિયમોને કારણે એક પણ પીજી સંચાલકે પોતાનું પીજી તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું નથી. પીજી રજિસ્ટ્રેશન માટે સોસાયટીના ચેરમેન અને પોલીસનું એનઓસી લેવું ફરજિયાત છે, જેથી કોઈ રજિસ્ટ્રેશન કરાવતું નથી. કેટલાક પીજી સંચાલકો વ્યક્તિદીઠ 12થી 18 હજાર લઈ લક્ઝરી સુવિધા આપે છે. જ્યારે મોટા ભાગના પીજીમાં રૂ. 6 હજારથી 10 હજાર સુધીની રકમમાં રહેવા-ખાવાની સુવિધા અપાય છે. જે વિદ્યાર્થીઓ અને સામાન્ય નોકરી કરનારને પોષાય તેમ હોય છે. નિયમ: હોસ્ટેલ તરીકે નોંધણી થઈ શકે પીજી મુદ્દે સ્પષ્ટ માર્ગદર્શિકાનો અભાવસોસાયટીમાં ચાલતી પીજી માટેની સ્પષ્ટ માર્ગદર્શિકા નથી. કાયદેસર બાંધકામ કેવી રીતે કરવું તેની માર્ગદર્શિકા એટલે CGDCRમાં પણ ‘પીજી’નો ઉલ્લેખ નથી. માત્ર હોસ્ટેલ માટે રોડ પહોળાઈ, બાંધકામ, પાર્કિંગ, ફાયર, પોલીસ એનઓસી ફરજિયાત જણાવાઈ છે. વર્ષે સરેરાશ હોસ્ટેલના પાંચથી છ પ્લાન મંજૂર થાય છે. મહારાષ્ટ્ર-કર્ણાટકની જેમ લાઇસન્સથી પીજીની મંજૂરી આપવી જોઈએપીજી માટે અલગ નીતિ બનાવવી જોઈએ, જ્યાં સુધી સરકાર દ્વારા સ્પષ્ટ નીતિ ન બને ત્યાં સુધી કોઈ પણ પીજીને સીલ ન કરવાં જોઈએ. મહારાષ્ટ્ર, કર્ણાટકની જેમ લાઇસન્સથી પીજી. ચલાવવાની મંજૂરી હોવી જોઇએ. - સોહમ પંડ્યા પ્રમુખ, ગુજરાત પીજી ઓનર્સ વેલ્ફેર એસો. સોસાયટીમાં લિફ્ટને નુકસાન કરવું, ખુલ્લી મૂકી દેવી. મોડી રાત્રે 1 વાગ્યે મગાવાતાં ફૂડ પાર્સલ ડિલવરી બોય ખોટા દરવાજા ખખડાવે અને લોકોની ઊંઘ ખરાબ થાય. પાર્કિંગની પણ સમસ્યા ઊભી કરે છે, ત્યારે ગેરકાયદે ચાલતાં પીજી બંધ કરો - કપિલ બારોટ ચેરમેન, આનંદવિહાર સોસા., ત્રાગડ પીજીમાં રહેતા લોકોની ફરિયાદો સોસાયટીના રહીશોની ફરિયાદો અત્યાર સુધીમાં 116 પીજીને નોટિસ, 8 સીલ
શહેરની જે.જી.કોલેજ ઓફ ફિઝિયોથેરાપીમાં બે દિવસીય રાષ્ટ્રીય ફિઝિયોથેરાપી કોન્ફરન્સ જે.જી. ફિઝિયોકોન યોજાઈ હતી, જેમાં 2500થી વધુ વિદ્યાર્થી, ડોક્ટરો જોડાયા હતા. દેશની વિવિધ યુનિવર્સિટીઓ અને સંસ્થાઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન કુલ 588 રિસર્ચ પેપર રજૂ અને પ્રકાશિત કરાયાં હતાં, જેમાં ફિઝિયોથેરાપી ક્ષેત્રના વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. રિસર્ચ પેપર: 1 મોબાઇલ સ્માર્ટફોન એડિક્શન અને માઇન્ડફુલનેસ170 કોલેજ વિદ્યાર્થીઓ પર કરાયેલા અભ્યાસમાં નોંધપાત્ર નેગેટિવ સંબંધ જોવા મળ્યો, જે દર્શાવે છે કે સ્માર્ટફોનનો વધતો વપરાશ વિદ્યાર્થીઓની એકાગ્રતા અને ધ્યાનક્ષમતા ઘટાડે છે. વધુ સ્ક્રીન એક્સ્પોઝર ધરાવતા વિદ્યાર્થીઓમાં માઇન્ડ ફુલનેસનો સ્તર ઓછો નોંધાયો. સતત નોટિફિકેશન, સોશિયલ મીડિયાનો ઉપયોગ અને લાંબા સમય સુધી મોબાઇલ પર રહેવાની આદત માનસિક જાગૃતિને અસર કરે છે અને શૈક્ષણિક કાર્યક્ષમતામાં ઘટાડો લાવી શકે છે. (ફાઇનલ યરની વિદ્યાર્થિની કશિશ ચંપાવતનું રિસર્ચ) રિસર્ચ પેપર: 2 ઓનલાઇન ગેમિંગ અને હાથની સમસ્યા80 વિદ્યાર્થી પર કરાયેલા અભ્યાસમાં 60 ટકા વિદ્યાર્થીઓએ હાથ અથવા કોણીમાં દુખાવાની ફરિયાદ નોંધાવી. દરરોજ સરેરાશ 3.6 કલાક મોબાઇલ ગેમિંગ કરતા વિદ્યાર્થીઓમાં તકલીફો વધુ પ્રમાણમાં જોવા મળી. લાંબા સમય સુધી એકસરખી સ્થિતિમાં મોબાઇલ પકડી રાખવો અને વારંવાર આંગળીઓની હલનચલનને મુખ્ય કારણ તરીકે ઓળખાયું. યુવાવયે જ મસ્ક્યુલોસ્કેલેટલ (સ્નાયુના દુખાવાની) સમસ્યાઓ વધી રહી હોવાનું તારણ સામે આવ્યું. (થર્ડ યરની વિદ્યાર્થિની સીમા પરવીન ખાનનું રિસર્ચ પેપર) રિસર્ચ પેપર: 3 સ્ક્રીન ટાઇમ અને માનસિક થાક વચ્ચેનો સંબંધવિદ્યાર્થીઓમાં સ્ક્રીન ટાઇમ વધતા માનસિક થાક અને યાદશક્તિ સંબંધિત સમસ્યા નોંધાઈ. સરવેમાં 78 ટકા વિદ્યાર્થીઓએ માનસિક થાકની ફરિયાદ કરી, જ્યારે 62 ટકામાં યાદશક્તિ અને ધ્યાનમાં ઘટાડો જોવા મળ્યો. સ્ક્રીન ટાઇમ અને માનસિક થાક વચ્ચે સીધું કનેક્શન સામે આવ્યું, જે દર્શાવે છે કે લાંબા સમય સુધી ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ મગજની કાર્યક્ષમતાને સીધી અસર કરે છે. એકાગ્રતા, યાદશક્તિ, દૈનિક કાર્યક્ષમતા ઘટતી હોવાનું તારણ મળ્યું. (ફાઇનલ યરની વિદ્યાર્થિની હેતવી શાહનું રિસર્ચ પેપર)
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:દાહોદમાં 700 કરોડનો ખર્ચ છતાં 200 ગામમાં એક ટીપું પાણી પહોંચ્યું નથી!
દાહોદ જિલ્લામાં છેવાડાના ગામ સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા માટે સરકાર દ્વારા ‘નળ થી જળ’ યોજના હેઠળ રૂ.700 કરોડનો ખર્ચ કરાયો છે, પરંતુ તંત્રની બેદરકારી અને જાળવણીના અભાવે આ કરોડોનો ખર્ચ અત્યારે ‘પાણીમાં’ ગયા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. આંકડાકીય વિગતો મુજબ, જિલ્લાના 200 ગામો એવા છે જ્યાં હજુ સુધી સંપ કે ટાંકી સુધી પાણી પહોંચી શક્યું નથી. જિલ્લાની 460 પંચાયતોમાં માંડ સંપ સુધી પાણી પહોંચ્યું છે, પરંતુ ચિંતાજનક બાબત એ છે કે 200 ગામોમાં હજુ સુધી પ્રાથમિક સોર્સ એટલે કે સંપ કે ટાંકી સુધી પાણીનું ટીપું પણ આવ્યું નથી. આ ગામોમાં પાઈપલાઈન નાખી દેવામાં આવી છે. પરંતુ તેની જાળવણીના અભાવે અને અધૂરી કામગીરીને કારણે ગ્રામજનો ઘરઆંગણે પાણી મેળવવાથી વંચિત છે. જિલ્લાના વિવિધ ગામોમાં આશરે 7000 જેટલી બ્રાન્ચ લાઈનો એવી છે જ્યાં ટેકનિકલ સમસ્યાઓ અથવા લીકેજને કારણે વિતરણ વ્યવસ્થા ખોરવાયેલી છે. સંપથી નીકળતા ફાંટાઓમાં યોગ્ય લિંકિંગ ન હોવાથી અજીબોગરીબ સ્થિતિ સર્જાઈ છે. કોઈ ગામમાં બે ફળિયામાં પાણી મળે છે જ્યારે બાજુમાં જ આવેલું ત્રીજું ફળિયું ફાંટાઓની ખામીને કારણે પાણી વગર તરસ્યું રહે છે. રસ્તાઓ પર રઝળતી પાઈપો અને ખોરવાયેલી જાળવણી તંત્રની ઉદાસીનતા સાબિત કરે છે.જિલ્લાની દરેક પંચાયતમાં સરેરાશ એક થી સવા કરોડ રૂપિયા જેવી માતબર રકમ આ યોજના પાછળ ફાળવવામાં આવી છે. આમ છતાં દાહોદના અંતરિયાળ વિસ્તારોમાં હજુ પણ પાણી માટે મહિલાઓને રઝળપાટ કરવો પડે છે. જો તંત્ર દ્વારા વહેલી તકે આ 200 ગામો અને 7000 જેટલી બ્રાન્ચ લાઈનોનું સમારકામ કરવામાં નહીં આવે તો ઉનાળાની શરૂઆતમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. કેટલીક જગ્યાએ પાઇપ જ નાખવામાં આવી નથીઅમારા ગામમાં નલ સે જલ યોજનાની ત્રણ વર્ષ અગાઉ પાઇપલાઇન નાખવામાં આવી હતી. પરંતુ આજ દિન સુધી આ નળમાં પાણી આવ્યું નથી.અમારા ગામમાં કેટલીક જગ્યાએ પાઇપલાઇન નાખી છે,જ્યારે કેટલીક જગ્યાએ પાઇપ જ નાખવામાં આવી નથી. અમોએ ગ્રામ પંચાયત તથા અન્ય જગ્યાએ અનેક વાર રજૂઆત કરી પણ કોઈ જોવા આવતું નથી કે કોઈ જવાબ આપતા નથી.સરકારે આ યોજના અમલમાં મૂકી કરોડો રૂપિયા ખર્ચ કર્યા છે ત્યારે અમોને પાણી મળવું જોઇએ.-વિક્રમભાઈ કનુભાઈ બારીયા, હિંદોલીયા આજ દિન સુધી ટીપુ પાણી આવ્યુ નથીઅમારા ડબલારા ગામના ઘાટી ફળિયામાં જે સંપ અને ટાંકી બનાવવામાં આવેલી છે. તેમાં આજ દિન સુધી પાણીનું ટીપું આવ્યું નથી. સરકારના નાણાનો ખોટો વેડફાટ થયો છે. અમારા ગામને જો ટાંકીમાંથી પાણી આપવામાં આવે તો ગામમાં અમારા ઘર-ઘર સુધી પાણી પહોંચી શકે છે. > મહેશભાઇ બરજોડ, ડબલારા, ઘાટી ફળિયું DDOનો 630 ગામના સરપંચ-તલાટીને પત્ર: પીવાના પાણી માટે જરૂરી પાણી વેરો નક્કી કરોજિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાએ નલ સે જલ યોજના ધરાવતા 630 ગામના સરપંચ અને તલાટીને પત્ર લખ્યો છે.તેમાં પાણી સમિતિ અને સરપંચની જવાબદારી નક્કી કરવામાં આવી છે. તેમાં મંજૂર થયેલા પાણીના કામોના અમલીકરણ સાથે કામો સમયસર અને ગુણવત્તા સભાર પૂર્ણ કરવાની તકેદારી રાખવાની ટકોર કરાઇ છે. આ સાથે પીવાના પાણી માટે જરૂરી પાણી વેરો નાખી તેની વસુલાત કરવા સાથે પાણી વેરાના દરો નિયમિત સુધારવા અને તેની ગ્રામ સભામાં મંજુરી લેવી. તેમજ ગેરકાયદે કનેક્શનો દૂર કરવાનું પણ પત્રમાં લખ્યું છે. 15મા નાણાપંચની ટાઇડ ગ્રાન્ટમાંથી રિપેરિંગનો ખર્ચ કરવાનો આદેશદાહોદ જિલ્લાના તમામ ગામોમાં નલ સે જલ યોજનામાં નાનાથી માંડીને ગંભીર પ્રશ્નો ઉભા છે. ત્યારે યોજનાના નાના-મોટા ફોલ્ટ, લીકેજ, વાલ્વ બદલવા કે ઓપરેટર પગાર જેવા ખર્ચ પાણીવેરાની આવક સાથે 15મા નાણાપંચ ટાઇડ ગ્રાન્ટમાંથી નિયમોનુસાર ખર્ચ કરવાની તાલુકા વિકાસ અધિકારીઓ સાથે સરપંચ અને તલાટીઓને લેખિત આદેશ કરવામાં આવ્યો છે.
ભાસ્કર બ્રેકિંગ:એમડી, એમએસ ડૉક્ટરો સ્ટાઇપેન્ડ સરકારી મેળવે છે પણ પ્રેક્ટિસ ખાનગી હોસ્પિટલમાં!
ગ્રામ્ય આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવા માટે શરૂ કરાયેલા ડિસ્ટ્રિક્ટ રેસિડન્સી પ્રોગ્રામ (DRP) અંગે ગુજરાતમાં ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. રાજ્ય સરકાર એમ.ડી. (ડૉક્ટર ઓફ મેડિસિન) અને એમ.એસ. (માસ્ટર ઓફ સર્જરી) ના બીજા વર્ષના પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ગ્રામ્ય તથા સરકારી આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપવા સ્ટાઈપેન્ડ ચૂકવે છે, પરંતુ યોજનાપૂર્વક 15થી 20 ટકા વિદ્યાર્થીઓને ખાનગી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં પોસ્ટિંગ અપાય છે, જે બિલકુલ નિયમ વિરુદ્ધ છે. પરિણામે ટેક્સ પેયરના કરોડો રૂપિયા ખર્ચાયા છતાં તેનો સીધો લાભ સરકારી આરોગ્ય વ્યવસ્થાને મળતો નથી. ગુજરાતમાં વર્ષ 2021થી અમલમાં આવેલા DRP અંતર્ગત દર વર્ષે આશરે બે હજાર એમ.ડી. અને એમ.એસ. ના વિદ્યાર્થીઓને પોતાની સંસ્થા સિવાયના આરોગ્ય કેન્દ્રોમાં ત્રણ મહિનાની ફરજીયાત પોસ્ટિંગ અપાય છે. સરકાર દ્વારા પ્રતિ વિદ્યાર્થી દર મહિને એક લાખ રૂપિયાથી વધુ સ્ટાઈપેન્ડ ચૂકવાય છે, જેથી જિલ્લા, ઉપજિલ્લા હોસ્પિટલો અથવા જ્યાં રેસિડન્ટ ડૉક્ટરોની અછત હોય તેવા કેન્દ્રોમાં પીજી ડૉક્ટરો સેવા આપી શકે. સમગ્ર મામલે મુખ્યમંત્રી કાર્યાલયમાં અનેક રજૂઆત છતાં કોઈ પરિણામ મળ્યું નથી. એડિશનલ ડાયરેક્ટર મેડિકલ એજ્યુકેશન અને કમિશનર ઓફ હેલ્થના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગાઈડલાઈનનું મનસ્વી અર્થઘટન કરીને વર્ષ 2021, 2022 અને 2023 દરમિયાન આશરે 7 હજાર વિદ્યાર્થીઓમાંથી 1500 જેટલા વિદ્યાર્થીઓને ખાનગી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં DRP પોસ્ટિંગ અપાયું છે. વિભાગના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, ખાનગી મેડિકલ કોલેજના આ વિદ્યાર્થીઓને આશરે 45 કરોડ રૂપિયા સ્ટાઈપેન્ડ ચૂકવાયું છે. એટલે કે સરકાર દ્વારા ચૂકવાતા સ્ટાઈપેન્ડનો પરોક્ષ લાભ ખાનગી મેડિકલ સંસ્થાઓને મળી રહ્યો છે. ગુજરાતના ઘણા જિલ્લા એવા છે જ્યાં ગાયનેક, એનેસ્થેટિસ્ટ, સર્જન, પીડિયાટ્રિશ્યન, ફિઝિશિયન નથી અથવા એક જ છે. આ ડૉક્ટરો રજા પર હોય ત્યારે દર્દીઓને જોનાર કોઈ હોતું નથી. DRPની અમલવારી અંગે તાત્કાલિક સમીક્ષા કરવાની જરૂર છે. ખાનગી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં DRP પોસ્ટિંગ અપાયું છે. વિભાગના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, ખાનગી મેડિકલ કોલેજના આ વિદ્યાર્થીઓને આશરે 45 કરોડ રૂપિયા સ્ટાઈપેન્ડ ચૂકવાયું છે. એટલે કે સરકાર દ્વારા ચૂકવાતા સ્ટાઈપેન્ડનો પરોક્ષ લાભ ખાનગી મેડિકલ સંસ્થાઓને મળી રહ્યો છે. ગુજરાતના ઘણા જિલ્લા એવા છે જ્યાં ગાયનેક, એનેસ્થેટિસ્ટ, સર્જન, પીડિયાટ્રિશ્યન, ફિઝિશિયન નથી અથવા એક જ છે. આ ડૉક્ટરો રજા પર હોય ત્યારે દર્દીઓને જોનાર કોઈ હોતું નથી. DRPની અમલવારી અંગે તાત્કાલિક સમીક્ષા કરવાની જરૂર છે. અનન્યા- સ્વામિનારાયણ જેવી મેડિકલ કોલેજોમાં પોસ્ટિંગની શરૂઆતખાનગી મેડિકલ કોલેજમાં ડીઆરપી પોસ્ટિંગનો કોઈ નિયમ નથી. તેમ છતાં આરોગ્ય વિભાગના અધિકારીઓએ ખાનગી મેડિકલ કોલેજો સાથે મળી નિયમનું ખોટું અર્થઘટન કરીને ખાનગી મેડિકલ કોલેજમાં ડીઆરપી પોસ્ટિંગની શરૂઆત કરાવી છે. અનન્યા અને સ્વામિનારાયણ મેડિકલ કોલેજો જેવી ખાનગી સંસ્થાઓએ ડીઆરપી કોર્સ માટે સરકારમાં ડિમાન્ડ કરી હતી અને આશ્ચર્ય વચ્ચે આરોગ્ય વિભાગ તેની મંજૂરી પણ આપી રહ્યાં છે. ઉચ્ચ અધિકારીઓએ પ્રોગ્રામનો રિવ્યુ કરવાની જરૂર છે. સુવ્યવસ્થિત આયોજન થાય તો ગ્રામ્ય સ્તરે માતા-શિશુ મૃત્યુદરમાં ઘટાડો થઈ શકે છેDRP માર્ગદર્શિકા મુજબ ડૉક્ટરોને એવા સરકારી સેન્ટરો પર મોકલવાના છે, જ્યાં પીજી કોર્સ ઉપલબ્ધ ન હોય. ખાસ કરીને ગ્રામ્ય અને ટ્રાયબલ વિસ્તારોમાં ગાયનેકોલોજિસ્ટ જેવા નિષ્ણાતોની અછતને કારણે માતા અને શિશુ મૃત્યુદર (MMR અને IMR) જેવી ગંભીર આરોગ્ય સમસ્યાઓ ઊભી થાય છે. આવા વિસ્તારોમાં DRP ડૉક્ટરોની સેવાઓ ઉપલબ્ધ થાય તો આરોગ્ય સેવાઓમાં નોંધપાત્ર સુધારો થઈ શકશે. ડીઆરપી પોસ્ટિંગમાં કામ ઓછું કરવું પડે એવા સેન્ટરની પહેલી પસંદગીવિદ્યાર્થીઓ માટે ડીઆરપી પોસ્ટિંગનો ત્રણ મહિનાનો ગાળો વેકેશન સમાન બને છે. વિદ્યાર્થીઓ સિનિયર વિદ્યાર્થીઓ પાસેથી જાણકારી મેળવી એવા જ સેન્ટરો પસંદ કરતા હોય છે, જ્યાં ઓછું કામ કરવું પડે. એક વખત જાતે સેન્ટર પસંદ કર્યું હોવા છતાં 25 ટકા વિદ્યાર્થીઓ બદલી કરવાની માગણી કરે છે. બીજી તરફ વિદ્યાર્થીઓને ભણવું હોય, પરંતુ તેમના સેન્ટર ઉપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર ઉપલબ્ધ નથી હોતા, જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સંકળાયેલો મહત્વપૂર્ણ પ્રશ્ન છે.
શરદ પવારની રાષ્ટ્રવાદી પાર્ટીના ધારાસભ્ય રોહિત પવારે શનિવારે ફરી એક વાર રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે કેન્દ્રમાં મોદી સરકારને ટેકો આપતી ટીડીપી પર વીએસઆર એરલાઇન્સ સાથે સાઠગાંઠનો આરોપ લગાવ્યો હતો અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુના રાજીનામાની માગણી કરી હતી. ટીડીપી અને વીએસઆર વચ્ચે ખૂબ જ ગાઢ નાણાકીય સંબંધો છે. એક જ પાર્ટીના સાંસદ કેન્દ્રમાં ઉડ્ડયન મંત્રી હોવાથી, અજિત પવારના વિમાન દુર્ઘટનાની તપાસ પારદર્શક રહેશે નહીં. આ મંત્રી ડીજીસીએ દ્વારા દસ્તાવેજોમાં છેડછાડ કરી શકે છે. તેથી, તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ, એમ તેમણે કહ્યું. વીએસઆર કંપનીને ઘણા શક્તિશાળી લોકોનો ટેકો હોવાથી, રોહિત પવારે પણ માગણી કરી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પોતે આ બાબત પર ધ્યાન આપે. રોહિત પવારે કહ્યું, ભારતના ઉડ્ડયન મંત્રી ટીડીપીના છે. તે પાર્ટીના વડા ચંદ્રબાબુ નાયડુના પરિવારના એક સભ્યની એક નાણાકીય સંસ્થા છે. આ નાણાકીય સંસ્થાએ વીએસઆર કંપનીમાં રોકાણ કર્યું છે. જો તમારા પોતાના પરિવારના સભ્યો વીએસઆરમાં પૈસા રોકાણ કરી રહ્યા છે, જો તમે રોહિત સિંહ (વીએસઆરના ડિરેક્ટર)ના લગ્નમાં જાઓ છો, જો તમારા તેમની સાથે નાણાકીય સંબંધો છે, તો આ બાબતની નિષ્પક્ષ તપાસ કેવી રીતે થશે?VSR કંપનીમાં મહારાષ્ટ્રના કેટલાક લોકો પણ સામેલ છે. આ લોકો ખૂબ જ શક્તિશાળી છે. તેથી જ અમે આ મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસેથી તપાસની માગણી કરી રહ્યા છીએ, એમ તેમણે કહ્યું. VSR કંપની માટે DGCA નું રેડ કાર્પેટરોહિત પવારે કહ્યું, અજિત પવારના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પછી પણ, VSR કંપનીનો વ્યવસાય સારો ચાલી રહ્યો છે. હું કહી શકતો નથી કે તેમનાં વિમાનોનો ઉપયોગ કોણ અને કયા હેતુ માટે કરી રહ્યા છે. આ કંપની ડરતી નથી, કારણ કે તેની પાછળ ખૂબ મોટા લોકોની શક્તિ છે. આ કંપની માટે DGCA દ્વારા લાલ જાજમ બિછાવવામાં આવી છે.’’
રાજ્યસભા ચૂંટણી પહેલાં રાજકીય ગણિત તેજ:જીતની ખાતરી પછી જ રાજ્યસભાની ચૂંટણીના મેદાનમાં શરદ પવાર ઊતરશે
માર્ચમાં યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રની 7 બેઠકો માટે રાજકીય ચહલપહલ વધી ગઈ છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવાર સહિત 6 સભ્યોનો કાર્યકાળ 2 એપ્રિલે પૂર્ણ થવાનો હોવાથી, તેઓ ફરી રાજ્યસભામાં જશે કે નહીં તે અંગે રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા છે. પરંતુ પવારનો રાજકીય ઇતિહાસ જોતા, તેઓ જીતની ખાતરી થયા વિના ચૂંટણી મેદાનમાં ઉતરશે નહીં તે લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે 37 મતો જરૂરી છે. મહાવિકાસ અઘાડી પાસે કુલ 46 મત છે, જેમાં શિવસેના (યુબીટી)ના 20, કોંગ્રેસના 16 અને શરદ પવારની એનસીપીના 10 મતનો સમાવેશ થાય છે. ગણિત પ્રમાણે, આ મતોના આધાર પર પવાર સરળતાથી જીત મેળવી શકે છે. જોકે, કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ચાલી રહેલી રાજકીય અનિશ્ચિતતા અને વિલય અંગેની ચર્ચાઓને કારણે સ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. શરદ પવારની રાજકીય કારકિર્દીનો એક ખાસ પાસો એ રહ્યો છે કે, તેઓ ક્યારેય હારની શક્યતા હોય ત્યારે ચૂંટણી લડતા નથી. તેઓ છેલ્લા 59 વર્ષથી સંસદીય રાજકારણમાં સક્રિય રહ્યા છે, અને એક પણ ચૂંટણી હાર્યા નથી. તેઓ 2014 અને 2020માં રાજ્યસભામાં ચૂંટાયા હતા અને બંને વખત ચૂંટણી બિનહરીફ રહી હતી. આથી, તેઓ ફરીથી ચૂંટણી લડશે તો પણ બિનહરીફ જીતની ખાતરી થયા પછી જ ઉમેદવારી નોંધાવશે તેવી શક્યતા છે. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન પણ તેમણે માઢા મતવિસ્તારમાંથી ચૂંટણી લડવાની તૈયારી કરી હતી, પરંતુ સ્થાનિક સ્તરે વિરોધ અને અનિશ્ચિતતા સર્જાતા તેમણે અંતિમ ક્ષણે ચૂંટણી લડવાનો નિર્ણય ટાળી દીધો હતો. આ ઘટનાએ સ્પષ્ટ કર્યું હતું કે પવાર માત્ર જીતની ખાતરી હોય ત્યારે જ ચૂંટણી મેદાનમાં ઉતરવાનું પસંદ કરે છે. હાલની સ્થિતિમાં, જો મહાવિકાસ આઘાડીના મતોનું એકત્રિત સમર્થન તેમને મળે અને બિનહરીફ જીતનો માર્ગ સ્પષ્ટ બને, તો શરદ પવાર ફરી રાજ્યસભામાં જઈ શકે છે. તેથી, આગામી દિવસોમાં કોંગ્રેસ અને અન્ય સહયોગી પક્ષોની ભૂમિકા પવારના નિર્ણય માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
ઠાકરે બંધુઓ વચ્ચે મતભેદ:નોમિનેટેડ નગરસેવકોને મુદ્દે હવે ઠાકરે બંધુઓ વચ્ચે ફરીથી અંતર વધી ગયું
રાજ્યમાં મહાપાલિકાની ચૂંટણીઓની પૃષ્ઠભૂમિમાં ભેગા થયેલા ઠાકરે બંધુઓ હવે ફરી અલગ દિશામાં જઈ રહ્યા હોવાની ચર્ચા છે. ચૂંટણીની પૂર્વસંધ્યાએ હાથ મિલાવીને કાર્યકરોમાં ઉત્સાહ જગાડનારા ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે મતભેદો સ્પષ્ટ થઈ રહ્યા હોવાના સંકેત મળી રહ્યા છે. ખાસ કરીને, રાજ્યના ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદે સાથે રાજ ઠાકરેની મુલાકાત વિવાદનું કેન્દ્ર બની ગઈ છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ચૂંટણી પહેલાં શિંદેની ટીકા કરનારા રાજ ઠાકરે હવે શહેરમાં મુદ્દાઓ ઉઠાવવા માટે તેમની પાસે ગયા છે. તેથી, એવી ચર્ચા છે કે ઠાકરે બંધુઓનું સમીકરણ બદલાઈ ગયું છે. રાજ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચે મુંબઈમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન 'નંદનવન' ખાતે થયેલી મુલાકાત રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. મહાપાલિકાની ચૂંટણી પછી બંને નેતાઓ વચ્ચેની આ પહેલી સત્તાવાર મુલાકાત હતી. વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવાની માહિતી બહાર આવી હતી, પરંતુ આ મુલાકાતથી ઠાકરે બંધુઓ વચ્ચેના સંકલન પર પ્રશ્નો ઊભા થયા હતા. આ પૃષ્ઠભૂમિમાં, માહિતી સામે આવી છે કે ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ મહાપાલિકામાં મંજૂર નગરસેવકો અંગે મોટો નિર્ણય લીધો છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, ઠાકરે જૂથ દ્વારા સાઈનાથ દુર્ગે, માધુરી માંજરેકર અને કૈલાશ પાઠકનાં નામોને નોમિનેટેડ નગરસેવક તરીકે પુષ્ટિ આપવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ નામોની સત્તાવાર જાહેરાત 28 ફેબ્રુઆરીએ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મનસેએ એક નોમિનેટેડ નગરસેવક પદની માગણી કરી હતી. મનસે જૂથના નેતા યશવંત કિલ્લેદારે ખુલ્લેઆમ આ માગણી ઉઠાવી હતી. જોકે, એવી ચર્ચા છે કે ઉદ્ધવ ઠાકરેએ તેમના ક્વોટામાંથી ત્રણેય બેઠકો નક્કી કરી હોવાથી મનસેને સ્થાન મળશે નહીં. આ દરમિયાન, મનસે નેતા સંદીપ દેશપાંડેએ સોશિયલ મિડિયા પર પોસ્ટ કરીને ઠાકરેની પાર્ટીની આડકતરી રીતે ટીકા કરી હતી, જેને લઈ બંને પક્ષો વચ્ચેના તણાવ વધ્યો છે. બીજી તરફ, ઠાકરે જૂથના નેતા કિશોરી પેડણેકરે સંયમનું વલણ અપનાવ્યું. તણાવ આગળ કયા તબક્કે જશે?મહાપાલિકાની ચૂંટણીઓ પછી રાજ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચેની મુલાકાત, ત્યાર બાદ આદિત્ય ઠાકરે અને રાજ ઠાકરેનું એકત્ર થવું, અને તે જ સમયે ઉદ્ધવ ઠાકરે દ્વારા નોમિનેટેડ નગરસેવકોનાં નામોને અંતિમ સ્વરૂપ આપવું, આ બધી ઘટનાઓએ રાજકીય વાતાવરણને વધુ ગરમાવ્યું છે. ઠાકરે બંધુઓમાં આ તણાવ આગળ ક્યાં જશે તે જોવું મહત્ત્વપૂર્ણ રહેશે.
સિટી એન્કર:મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર અકસ્માત ટાળવાના અભ્યાસ માટે સમિતિ
મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ગેસ ટેંકરના થયેલા અકસ્માત બાદ હાઈવેની સુરક્ષા બાબતે પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવે છે. તેમ જ પરિવહન વ્યવસ્થાપન પર પણ ટીકા થઈ રહી છે. એ ધ્યાનમાં લેતા મહારાષ્ટ્ર રાજ્ય રસ્તા વિકાસ મહામંડળે ભવિષ્યમાં આવી ઘટના ન બને એ માટે વિશેષ સાત સભ્યોની સમિતિની સ્થાપના કરી છે. ઈંડિયન રોડ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને સાર્વજનિક બાંધકામ વિભાગના ભૂતપૂર્વ સચિવ સી.પી. જોશીની અધ્યક્ષતા હેઠળ આ સમિતિ કામ કરશે. સમિતિ આગામી 60 દિવસમાં વિગતવાર અહેવાલ રજૂ કરશે. એ પછી અહેવાલની ભલામણો અનુસાર ઉપાયયોજના અમલમાં મૂકવામાં આવશે. રાજ્યમાં અત્યંત ટ્રાફિકવાળા મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર 3 ફેબ્રુઆરીના સાંજે લગભગ 5 વાગ્યાના સુમારે ગેસ ટેંકર પલટી થયું હતું અને ટેંકરમાંથી અત્યંત જ્વલનશીલ પ્રોપિલિન ગેસનું ગળતર શરૂ થયું. ગળતર બંધ કરવું અને ટેંકર સુરક્ષિત રીતે હટાવવું એ મોટો પડકાર સંબંધિત યંત્રણા સમક્ષ હતો. આ પરિસ્થિતિ નિયંત્રણમાં લાવી વાહનવ્યવહાર પૂર્વવત શરૂ કરવા 32 કલાક જેટલો સમય લાગ્યો.આ સમયમાં હાઈવે પરનો વાહનવ્યવહાર પૂર્ણપણે ખોરવાયો અને મોટા પ્રમાણમાં ટ્રાફિકજામ નિર્માણ થયો. આ અકસ્માત પછી હાઈવે પર અકસ્માત કેવી રીતે રોકી શકાય અને પ્રવાસ વધુ સુરક્ષિત કેવી રીતે કરી શકાય એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા સમિતિ તૈયાર કરવામાં આવ્યાની માહિતી એમએસઆરડીસીના વ્યવસ્થાપકીય સંચાલક અનિલકુમાર ગાયકવાડે આપી. સમિતિના સભ્યો: સી.પી. જોશીની અધ્યક્ષતા હેઠળની સમિતિમાં ભૂતપૂર્વ સહપોલીસ આયુક્ત (પરિવહન) અને કોકણ વિભાગના ભૂતપૂર્વ પોલીસ મહાનિરીક્ષક એસ. મોહિતે ઉપાધ્યક્ષ તરીકે કાર્યરત છે. તેમ જ રાજ્ય પરિવહન વિભાગના ભૂતપૂર્વ સહઆયુક્ત જિતેન્દ્ર પાટીલ અને એસ. દેશપાંડે, સુરક્ષા અને ટેકનિકલ કાયદા નિષ્ણાત મિલિંદ કુલકર્ણી, સેવ લાઈફ ફાઉન્ડેશનના અધ્યક્ષ પિયુષ તિવારી સભ્યો છે. મહામંડળના પુણે વિભાગના અધિક્ષક એન્જિનિયર રાહુલ વસઈકર સભ્ય સચિવ તરીકે કામ જોઈ રહ્યા છે.
મહાલક્ષ્મી રેસકોર્સની 300 એકર જમીન પર સરકારના માધ્યમથી આંતરરાષ્ટ્રીય દરજ્જાનું સેંટ્રલ પાર્ક ઊભો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે અહીં રમતગમતની સુવિધા, પારંપારિક દેશી રમત અને 5 હજાર વાહન માટે પાર્કિંગ લોટ ઊભો કરવામાં આવવાનો છે. તેથી પાકું બાંધકામ કરવું પડશે. આ સુવિધા પાર્ક અપગ્રેડ તરીકે રજૂ કરવામાં આવી છે છતાં પુનર્વિકાસમાં પાયાભૂત સુવિધા ઊભી થવાથી આ મેદાનને નુકસાન થશે. તેથી મહાલક્ષ્મી રેસકોર્સના પુનર્વિકાસના વિરોધમાં 102 આર્કિટેક્ટ, ડીઝાઈનર્સ અને શહેર નિયોજક એક થયા છે. મહાલક્ષ્મી રેસકોર્સ અને કોસ્ટલ રોડ સાઈટ્સને ભેગા કરીને 300 એકરમાં સેંટ્રલ પાર્ક બનાવવાની જાહેરાત પહેલાં જ કરવામાં આવી છે. મુંબઈ આર્કિટેક્ટ કલેક્ટિવ અંતર્હત આ 102 આર્કિટેક્ટ, નિયોજકોએ પુનર્વિકાસનો વિરોધ કરતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મહાપાલિકા કમિશનર ભૂષણ ગગરાણીને પત્ર લખ્યો છે. અંડરગ્રાઉન્ડ સહિત કોઈ પણ પ્રકારના બાંધકામના કારણે ખુલ્લી જગ્યાનું કાયમીસ્વરૂપે નુકસાન થશે એમ તેમણે પત્રમાં નોંધ્યું છે. તેથી આ સાર્વજનિક જગ્યા નાગરિકોના ફરવા માટે, વ્યાયામ માટે જ રાખવી જોઈએ એવી અપેક્ષા વ્યક્ત કરી છે. રેસકોર્સની જગ્યા કુદરતી છિદ્રાળુ જમીન છે જે વરસાદી પાણીને શોષવા, ભૂર્ગભના જળને રીચાર્જ કરવા અને પુરનું જોખમ ઘટાડવા ઘણી મહત્વપૂર્ણ છે. આ જમીન પર કોંક્રિટ નાખવાથી મેદાનનું કુદરતી સ્વરૂપ નાશ પામશે. અંડરગ્રાઉન્ડ બાંધકામ કરીને કોંક્રિટનો સ્લેબ નાખવાથી અહીં વૃક્ષો ઊગી શકશે નહીં. કુદરતી ઈકોસિસ્ટમનો નાશ થશે. મોટા પાયે થનારા બાંધકામથી ધુળનું સ્તર વધશે અને શહેરમાં પ્રદૂષણની સમસ્યામાં વધારો થશે. પ્રસ્તાવિત અંડરગ્રાઉન્ડ ટનલના લીધે ટ્રાન્ઝિટ ઓરિયેન્ટેડ ડેવલપમેંટ નિયમ અનુસાર આસપાસની ઈમારતોની એફએસઆઈ વધી શકે છે. તેથી આ પ્રકલ્પ પાર્કના સુધારા માટે નહીં પણ રિયલ એસ્ટેટના એટલે કે બિલ્ડરોના ફાયદા માટે થઈ રહ્યો છે એવો આરોપ કરવામાં આવી રહ્યો છે.
મુંબઈ મહાપાલિકાનું બજેટ:મુંબઈ મહાપાલિકાનું બજેટ 25 ફેબ્રુઆરીના રોજ સ્થાયી સમિતિની સભામાં રજૂ થશે
મુંબઈ મહાપાલિકાનું બજેટ દર વર્ષે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં રજૂ થાય છે. જો કે મેયર ચૂંટણી, સ્થાયી સમિતિ અને અન્ય સમિતિ અધ્યક્ષ તેમ જ સભ્ય ચૂંટણી પ્રક્રિયાના કારણે આ વર્ષે બજેટમાં વિલંબ થયો છે. આખરે આ બજેટ 25 ફેબ્રુઆરીના રજૂ થશે. નવી સ્થાયી સમિતિ અધ્યક્ષ સાથે મહાપાલિકાના વિવિધ વિભાગના અધિકારીઓની થયેલી બેઠકમાં એના પર મંજૂરીનો સિક્કો મારવામાં આવ્યો હતો. સ્થાયી સમિતિની સભામાં બજેટ રજૂ કરવામાં આવશે. આ વખતના બજેટમાં વિવિધ પ્રકલ્પો માટે મસમોટી જોગવાઈ કરવામાં આવી હોવાની શક્યતા છે. 2025-26માં 74 હજાર 427 કરોડ 41 લાખ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. 2024-25ની સરખામણીએ આ રકમમાં 14.19 ટકાનો વધારો થયો હતો. આ વખતનું બજેટ 80 હજાર કરોડ રૂપિયા કે એનાથી વધુ મોટું હોવાની શક્યતા છે. 2025-26ના બજેટમાં ખર્ચ માટે 43 હજાર 162 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. મહેસૂલ ખર્ચ 31 હજાર 204 કરોડ 53 લાખ રૂપિયા હતો. મુંબઈ મહાપાલિકાએ મોટા પ્રમાણમાં પ્રકલ્પ હાથમાં લીધા છે. આ પ્રકલ્પોનો ખર્ચ ઉઠાવવા મહાપાલિકાને ભંડોળની જરૂર છે. 2024-25માં મહાપાલિકાએ 12 હજાર 119 કરોડ 47 લાખ રૂપિયા કરજ લેવું પડ્યું હતું. ગયા વર્ષના બજેટમાં કરજનો આંકડો 16 હજાર 699 કરોડ 41 લાખ રૂપિયા હતો. ફિકસ્ડ ડિપોઝીટમાંથી આ રૂપિયા કાઢવા પડ્યા હતા એમ પ્રકાશમાં આવ્યું હતું. કર સંકલનમાં ગેરવ્યવહારમુંબઈ મહાપાલિકા સ્થાયી સમિતિ અધ્યક્ષ પદે પ્રભાકર શિંદેની પસંદગી થયા પછી તેમણે પહેલા ભાષણમાં મહાપાલિકા કર સંકલન અને નિર્ધારણની કમીઓ અને ગેરવ્યવહાર પર આંગળી મૂકી હતી. કર નિર્ધારણ માટે માલમતાના વાસ્તવિક એરિયા કરતા ઓછો એરિયા વિચારમાં લેવામાં આવે છે. ક્યારેક કર નિર્ધારણની તારીખ ઠેલીને એ વર્ષના કરની રકમ બચાવવામાં આવે છે. કર નિર્ધારણમાં આવા વિવિધ પ્રકારના ગેરવ્યવહાર પર અંકુશ મૂકવા મહાપાલિકાના વિજિલન્સ વિભાગે અને મહાપાલિકાના એકાઉન્ટન્ટે ચુસ્તતાથી ચકાસણી કરવી એમ તેમણે સૂચવ્યું છે.
શ્રમિકોની પણ મુસાફરી બનશે સુખદ:નવી તૈયાર થનારી 12 અને 15 ડબ્બાની AC લોકલમાં લગેજનો ડબ્બો પણ AC
મહામુંબઈની ઉપનગરીય રેલવેના મુખ્ય ઘટક શ્રમિકો માટે પણ હવે એસી પ્રવાસ ઉપલબ્ધ થશે. મુંબઈ રેલવે વિકાસ મહામંડળ તરફથી બાંધવામાં આવતી 12 અને 15 ડબ્બાની નવી એસી લોકલમાં લગેજ ડબ્બા પણ એસી હશે. તમામ ઉપનગરીય લોકલ એસી થયા પછી લગેજ ડબ્બાનું શું થશે એવો સવાલ ઉપસ્થિત થયો હતો. જો કે હવે લગેજ ડબ્બા પણ એસી હોવાથી શ્રમિકો માટે સુખદ આંચકો છે. એમઆરવીસી તરફથી બાંધવામાં આવનારી 12 અને 15 ડબ્બાની એસી લોકલના એસી લગેજ ડબ્બાની વાસ અન્ય ડબ્બાઓમાં ન ફેલાય એ માટે સ્વતંત્ર ડબ્બા અને સ્વતંત્ર એસી સિસ્ટમની વ્યવસ્થા હશે. મુંબઈ લોકલના આધુનિકીકરણ માટે એમઆરવીસીએ 2856 પૂર્ણ એસી વંદે મેટ્રો ડબ્બાની ખરીદી કરવાનો નિર્ણય લીધો છે. એના દ્વારા 12 અને 15 ડબ્બાની લોકલ તૈયાર કરવામાં આવશે. 18 ડબ્બાની લોકલની વ્યવહારિકતા તપાસવામાં આવશે. આ બધા માટે ટેંડર પ્રક્રિયા ચાલુ છે. નવી એસી લોકલમાં લગેજ ડબ્બાની વિશેષ વ્યવસ્થા હશે. આ લોકલમાં એકમાંથી બીજા ડબ્બામાં જવાની વ્યવસ્થા હશે અને એ સાથે લોકલની આગળ અને પાછળ લગેજ ડબ્બો હશે. એના લીધે લગેજ ડબ્બાની વિવિધ વસ્તુઓની વાસ બીજા ડબ્બાઓમાં ફેલાશે નહીં. અત્યારે વપરાતા ડબ્બા પ્રમાણે જ એની રચના હશે. તાપમાન નિયંત્રિત રાખવા સ્વતંત્ર એસી સિસ્ટમ હશે. નવી લોકલ કલાકના 130 કિમી સ્પીડથી દોડવા સક્ષમ હશે. ડબ્બામાં ગાદીવાળી સીટ, મોબાઈલ ચાર્જિંગ સુવિધા, મનોરંજન અને માહિતી સિસ્ટમ જેવી સુવિધાઓ હશે. આધુનિક સુવિધાઓ સાથે એમઆરવીસી લાખો પ્રવાસીઓ સાથે શ્રમિકોનો દૈનિક પ્રવાસ સુખરૂપ અને સુરક્ષિત કરશે એમ મહામંડળના અધ્યક્ષ અને વ્યવસ્થાપકીય સંચાલક વિલાસ વાડેકરે જણાવ્યું હતું
બનાવટી રેશનકાર્ડ તૈયાર કરીને સરકારની જુદી જુદી યોજનાનો લાભ લેતી ટોળકીની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. મુંબઈના દિંડોશી પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. દિંડોશી પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે. લગભગ 350 બનાવટી રેશનકાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે. છેલ્લા અનેક દિવસથી આ ટોળકી બનાવટી રેશનકાર્ડ તૈયાર કરીને સરકારની વિવિધ યોજનાનો લાભ લેતી હતી. આખરે આ ષડયંત્ર પ્રકાશમાં આવ્યું હતું. મુંબઈના દિંડોશી પોલીસે બનાવટી રેશનકાર્ડ તૈયાર કરીને સરકારી યોજનાની છેતરપિંડી કરનારી ટોળકી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી હતી. બનાવટી રેશનકાર્ડ તૈયાર કરનારા સાત આરોપીઓની ટોળકીની દિંડોશી પોલીસે ધરપકડ કરી હતી. આ આરોપીઓ પાસેથી લગભગ 350 બનાવટી રેશનકાર્ડ સાથે એ તૈયાર કરવા જરૂરી સામગ્રી જપ્ત કરી છે. આ આરોપીઓની ટોળકીમાં રેશનકાર્ડ કાર્યાલયમાં કામ કરતા કર્મચારીઓનો પણ સહભાગ છે.આ આરોપીઓ તરફથી બનાવટી રેશનકાર્ડનો ઉપયોગ બાંગલાદેશી નાગરિકો સાથે મહાત્મા જ્યોતિબા ફૂલે જનઆરોગ્ય યોજના અને વડાપ્રધાન જન આરોગ્ય યોજનાનો લાભ મેળવી આપવાના નામ હેઠળ છેતરપિંડી ચાલુ હતી. આરોપીઓ પાસેથી 350 બનાવટી રેશનકાર્ડ, અન્ય દસ્તાવેજો, 9 લેપટોપ, 2 પ્રિન્ટર અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. ધરપકડ થયેલા આરોપીઓમાં દયાલ (29), રાકેશ સિંહ (43), દિનેશકુમાર કેસારવાડી (40), એડવર્ડ ઉર્ફે સોનુ ડીસોઝા (43), મણીશંકર શર્મા (39), બિપિનકુમાર પાંડે (42), વીરુ ગુપ્તા (31)નો સમાવેશ છે.
જેટ્ટી ઊભી કરવાનું કામ ચાલુ કરાયું:વસઈની ખાડી પર નાગલા બંદર અને ઉત્તન ડોંગરીથી ભવિષ્યમાં રો-રો સેવા
વસઈની ખાડી પરના નાગલા બંદર અને પશ્ચિમ કિનારા પર ઉત્તન ડોંગરી ખાતે ભવિષ્યમાં રો-રો સેવા શરૂ કરવાની દષ્ટિએ મહારાષ્ટ્ર સાગરી મંડળે હિલચાલ શરૂ કરી છે. એના અંતર્ગત બંને ઠેકાણે જેટ્ટી ઊભી કરવામાં આવી રહી છે. એને સીઆરઝેડ સંબંધી મંજૂરી મળી ગઈ છે. રાજ્યના કિનારાપટ્ટીના પ્રવાસીઓ માટે સમુદ્રમાર્ગ જોડવાનું ધોરણ રાજ્ય સરકારે તૈયાર કર્યું છે. આ ધોરણની અમલબજાવણી મહારાષ્ટ્ર સાગરી મંડળ કરે છે. એના અંતર્ગત કિનારાપટ્ટી પર જેટ્ટી ઊભી કરવામાં આવી રહી છે. એમાં જ ઉત્તન ડોંગરી અને નાગલા બંદર ખાતે રો-રો સેવાની દષ્ટિએ જેટ્ટી ઊભી કરવા સીઆરઝેડ સંબંધી મહત્વની મંજૂરી મળી છે. આ અંતર્ગત નાગલા બંદર અને ઉત્તન એમ બંને ઠેકાણે 143 મીટર લાંબી અને 10 મીટર પહોળી જેટ્ટી ઊભી કરવામાં આવી રહી છે. આ જેટ્ટી સૌથી લાંબી હોવાથી રો-રો જેવા મોટા જહાજ ત્યાં ઊભા રહી શકશે. એ સાથે જ આ બંને ઠેકાણે મહારાષ્ટ્ર સાગરી મંડળ તરફથી જળપ્રવાસની દષ્ટિએ મોટું કેન્દ્ર ઊભું કરવામાં આવશે. એના માટે જ જેટ્ટી ઉપરાંત પાર્કિંગ લોટ, બોટમાં ચઢવાનો માર્ગ, સંરક્ષક ભીંતનું પણ બાંધકામ થશે. એમાં નાગલા બંદર ખાતે 2025 સ્કવેર મીટર તો ઉત્તન ડોંગરી ખાતે 7200 સ્કવેર મીટર એરિયાનું પાર્કિંગ લોટ, નાગલા બંદર ખાતે 45.42 મીટર ઉંચી અને ઉત્તન ડોંગરી ખાતે 60 મીટર ઉંચી સંરક્ષક ભીંત બાંધવામાં આવશે. આ બધા બાંધકામને મહારાષ્ટ્ર કિનારાપટ્ટી ક્ષેત્ર નિયમ પ્રાધિકરણે સીઆરઝેડ સાથે મેનગ્રોવ્ઝ સંબંધી ઉપાયયોજના કરવા સહિતની મંજૂરી આપી છે. તેમ જ અંતિમ મંજૂરી માટે કેન્દ્રિય પર્યાવરણ મંત્રાલયના સંબંધિત પ્રાધિકરણને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. થાણે-નવી મુંબઈમાં પણ નિયોજનમહારાષ્ટ્ર સાગરી મંડળે થાણે અને નવી મુંબઈ પરિસરમાં પણ ચાર જેટ્ટી બાંધવાનું નિયોજન કર્યું છે. એમાં વાશી, ઐરોલી, મુલુંડ મીઠાગર પરિસર અને થાણેના ચેંદણી કોલીવાડા નજીક મીટબંદરનો સમાવેશ છે. આ ઠેકાણે વન વિભાગની પરવાનગી ન હોવાથી એ પ્રસ્તાવ એમસીઝેડએમએએ હજી મંજૂર કર્યો નથી. આ પ્રસ્તાવ મંજૂર થશે તો થાણે, નવી મુંબઈ, વસઈથી મુંબઈની ઉત્તર-પશ્ચિમ કિનારાપટ્ટી એકબીજા સાથે જળમાર્ગ પ્રવાસી પરિવહનથી જોડી શકાશે. મંત્રાલયના સંબંધિત પ્રાધિકરણને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે.
સિટી એન્કર:મુંબઈમાં ફરીથી મોનોરેલ શરૂ કરવાની એમએમઆરડીએની ઘોષણા
મુંબઈની મોનોરેલ શરૂ થઈ ત્યારથી ખોટ કરે છે. 20 સપ્ટેમ્બર 2025ના એમએમઆરડીએએ મોનોરેલ સેવા અનિશ્ચિત સમય માટે બંધ કરવાનો નિર્ણય લીધો હતો. સતત થતી ટેકનિકલ ખરાબીના કારણે છેલ્લા આઠ વર્ષમાં મોનો સેવા હંગામી સમય બંધ કરવાની આ ત્રીજી ઘટના હતી. હવે મુંબઈગરા માટે રાહતના સમાચાર છે. મુંબઈમાં ફરીથી મોનોરેલ દોડશે એવી ઘોષણા એમએમઆરડીએ પોતાના અધિકૃત એક્સ એકાઉન્ટ પરથી કરી હતી. 2025માં ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદના કારણે મોનોરેલ સેવા ત્રણ વખત ઠપ્પ થઈ હતી. 15 સપ્ટેમ્બરના મૂશળધાર વરસાદના કારણે મોનોરેલ ટેકનિકલ ખરાબના લીધે અચાનક ઠપ્પ થઈ હતી. 19 ઓગસ્ટના ગિરદીના લીધે મોનોરેલ અચાનક બંધ પડી હતી અને 500 કરતા વધુ પ્રવાસીઓ એમાં અટવાઈ ગયા હતા. એના લીધે પ્રવાસીઓની સતત હેરાનગતિ થઈ રહી હતી. આ સતત ખોટકાવાના લીધે મોનો સેવા અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવી હતી. મુંબઈગરાના રોજિંદા પ્રવાસને એને લીધે ફટકો પડ્યો હતો. ચેંબુરથી જેકબ સર્કલ દોડતી મોનોરેલમાં ઘણાં મુંબઈગરા પ્રવાસ કરતા હતા. હવે મુંબઈગરાની પ્રતિક્ષાનો અંત આવ્યો છે. મોનોરેલે નવી રોલિંગ સ્ટોક અને સીબીટીસી આધારિત સિગ્નલિંગ સિસ્ટમ માટે જરૂરી સુરક્ષા પ્રમાણપત્ર મેળવ્યું છે. સ્વતંત્ર સુરક્ષા મૂલ્યાંકનકર્તાની ભૂમિકા ભજવનાર એક કંપની તરફથી આ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. એના લીધે મોનોરેલ સેવા મુંબઈમાં ટૂંક સમયમાં ફરીથી શરૂ થશે એવી માહિતી એમએમઆરડીએએ આપી છે. આ નવી મોનોરેલ પહેલાં કરતા વધુ સુરક્ષિત, સ્માર્ટ અને ઝડપી હોવાની માહિતી એમએમઆરડીએએ આપી છે. આ નવા રેકને મંજૂરી મળી છે અને હવે સંપૂર્ણ કોરિડોરની સુરક્ષા ટેસ્ટની પ્રતિક્ષા છે. આ 19.54 કિમી લાંબા મોનોરેલ કોરિડોરની તપાસ માટે અંતિમ મંજૂરી મળે એ માટે સેવાનિવૃત્ત મેટ્રો રેલવે સુરક્ષા આયુક્તની નિયુક્તી કરવામાં આવશે. આ પ્રક્રિયા પૂરી થતા નવી મોનોરેલ ફરીથી પાટે ચઢશે. આવી છે નવી મોનોનવી મોનોરેલ રેક્સમાં કુલ 21 સુધારા કરવામાં આવ્યા છે. દરેક મોનોમાં સીસીટીવી કેમેરા, દિવ્યાંગો માટે અનુકૂળ સીટિંગ, મોબાઈલ અને લેપટોપ ચાર્જિંગ પોઈંટ્સ, ડાયનેમિક માર્ગ નકશા, વધુ સારા પ્રવાસ માટે સુધારેલું સસપેન્શન, અગ્નિસુરક્ષા રેટિંગની કઠોર પાલન કરતી ડીઝાઈન, આધુનિક મેટ્રો શૈલીના અંતર્ગત સજાવટ અને રિયલ ટાઈમ મોનિટરીંગ તથા સર્વેલન્સ સિસ્ટમ જેવી સુવિધા હશે.
ટાટાના અધ્યયનમાં નવું પ્રમાણ:તમાકુ છોડવાથી મોઢાના કેન્સરનું જોખમ ઘટે છે
ટાટા મેમોરિયલ સેન્ટર, મુંબઈના કેન્સર મહામારી વિજ્ઞાન કેન્દ્રના એક અધ્યયને તમાકુ છોડવાના દીર્ઘકાલીન લાભો વિશે નવું પ્રમાણ પ્રસ્તુત કર્યું છે. ખાસ કરીને બુક્કલ મ્યુકોસા (ગાલના અંદરના ભાગમાં) કેન્સરનું જોખમ ઓછું થઈ શકે છે. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ કેન્સરમાં પ્રકાશિત આ નવી શોધથી જણાય છે કે ધૂમ્રપાન અને તમાકુ ચગળવાની આદત છોડવા પર નિરંકર ઉપયોગ કરનારની તુલનામાં મોઢા કેન્સરનું જોખમ ઓછું થાય છે. અધ્યયનમાં પહેલી વાર એવું જણાયું છેક તમાકુ છોડવાના 10 વર્ષ પછી વર્તમાન ઉપયોગકર્તાઓની તુલનામાં ધૂમ્રપાન કરનારમાં મોઢાના કેન્સરનું જોખમ 61 ટકા અને તમાકુ ચગળનારમાં 42 ટકા સુધી ઓછું થઈ જાય છે. જોકે જોખમની આ ઓછપ ક્યારેય તે લોકોના સ્તર સુધી નથી પહોંચતી જેમણે જીવનમાં ક્યારેય તમાકુનો ઉપયોગ નહીં કર્યો હોય. આનો અર્થ વર્તમાન તમાકુ ઉપયોગકર્તાઓને તમાકુ છોડવાથી લગભગ 50 ટકા સુધી જોખમમાં ઓછુપનો લાભ મળી શકે છે. જોકે તેમનું જોખમ તે લોકોની તુલનામાં વધુ રહેશે, જેમણે ક્યારેય તમાકુવું સેવન નહીં કર્યું હોય. આ નિષ્કર્ષ દર્શાવે છે કે તમાકુ છોડવાનું પ્રભાવશાળી છે, પરંતુ તમાકુનું સેવન ક્યારેય શરૂ નહીં કરવાનું સૌથી મહત્ત્વપૂર્ણ છે. પહેલી વાર તમાકુ ચગળવાની આદત છોડવાના લાભોને સ્પષ્ટ રીતે પ્રદર્શિત કરાયું છે. ભારતમાં વર્તમાનમાં તમાકુ ચગળવનારની સંખ્યા વધુ (લગભગ 30 ટકા) છે. આથી તમાકુ રોકથામ સંબંધી નીતિઓ સાથે તમાકુ છોડવાની રણનીતિઓ પણ આવશ્યક છે, જેનાથી વર્તમાનમાં ઉપયોગકર્તાઓના જીવનને બચાવી શકાય છે. ટાટા મેમોરિયલ સેન્ટરના ડાયરેક્ટર ડો. સુદીપ ગુપ્તાએ જણાવ્યું કે આ અધ્યયનના નિષ્કર્ષનો ઉપયોગ તમાકુ નિવારણ સાથે સંબંધિત સરકારી કાર્યક્રમો અને ક્વિટલાઈન સેવાઓમાં કરાઈ શકે છે. તમાકુ ચગળવું મોઢાના કેન્સરનું સૌથી મોટું રોકી શકાતું કારણ છે અને પ્રભાવશાળી તમાકુ નિયંત્રણ નીતિઓના માધ્યમથી 80 ટકાથી વધુ મોઢાના કેન્સરને રોકી શકાય છે. તમાકુનો ઉપયોગ કેન્સરનું જોખમ વધારે: કેન્સર ઉપચાર, સંશોધન અને શિક્ષણનું પ્રગતિશીલ કેન્દ્ર (એક્ટ્રેક)ના ડાયરેક્ટર ડો. પંકજ ચતુર્વેદીએ જણાવ્યું કે કોઈ પણ રીતે તમાકુનો ઉપયોગ મોઢાના કેન્સરના વિકાસ માટે એક મુખ્ય જોખમ કારક છે. તમાકુનો ઉપયોગ રોકવા માટે સર્વ પ્રયાસો કરવા જોઈએ અને જેમને આ વ્યસન છે તેમને માટે તમાકુ છોડવાનું અત્યંત આવશ્યક છે, કારણ કે તેનાથી જોખમ ઓછું થાય છે. કેન્સરનું જોખમ 60 ટકા ઘટી શકે છે:કેન્સર મહામારી વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર અને અધ્યયનના લેખક ડો. રાજેશ દીક્ષિતે જણાવ્યું કે આ નિષ્કર્ષ તમાકુ છોડવાની ઉપયોગિતા દર્શાવનારું પ્રથમ પ્રમાણ છે. તમાકુ છોડવાથી 10 વર્ષ પછી મોઢાના કેન્સરનું જોખમ લગભગ 60 ટકા સુધી ઓછું થઈ જાય છે, પરંતુ આ જોખમ ક્યારેય એ લોકોને સ્તરની નજીક નથી પહોંચતું, જેમણે ક્યારેય તમાકું સેવન કર્યું નહીં હોય. મોટિવેશનલ કાઉન્સેલિંગ માટે ઉપયોગવૈજ્ઞાનિક અધિકારી અને અધ્યનનાં મુખ્ય લેખિકા ડો. શરાયુ મ્હાત્રેએ જણાવ્યું હતું કે આ નિષ્કર્ષોનો ઉપયોગ મોટિવેશનલ કાઉન્સેલિંગ માટે કરાઈ શકે છે. સર્વ પ્રકારના તમાકુ હાનિકારક છે, પરંતુ તમાકુ છોડવાના જોખમમાં ઓછું સંભવ છે. આ પરિણામ ભવિષ્યના સરકારી દિશાનિર્દેશો અને હસ્તક્ષેપ નીતિઓના વિકાસમાં સહાયક બની શકે છે અને તમાકુ નિવારણ પર વધુ જોર આપવા માટે પ્રોત્સાહિત કરી શકે છે.
ગાંધીનગરના ઉવારસદ ગામે એક હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં સંતાનોની મંચુરિયન ખાવાની નાનકડી જીદ પૂરી કરવા નીકળેલા પિતાની નજર સામે જ તેમના બે માસૂમ દીકરાઓ કેનાલના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા હતા. 18 ફેબ્રુઆરીના રોજ બનેલી આ ઘટનામાં મોટા પુત્રની લાશ મળી આવી છે, જ્યારે નાનો પુત્ર હજુ પણ લાપતા છે. ઉવારસદ ગામમાં રહેતા અને GIDCમાં નોકરી કરતા રાજુભાઈ ઠાકોર ગત બુધવારે સાંજે સાડા છ વાગ્યાના અરસામાં તેમના બે પુત્રો યશ (10 વર્ષ) અને મનદીપ (7 વર્ષ)ને બાઈક પર બેસાડી પાંઉભાજી અને મંચુરિયન લેવા નીકળ્યા હતા. બાળકોએ લાંબો આંટો મારવાની જીદ કરતા રાજુભાઈ ટ્રાફિકથી બચવા અંબાપુર કેનાલના સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક એક કુતરું આડું આવતા રાજુભાઈએ સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને પિતા-પુત્રો બાઈક સાથે સીધા જ કેનાલના ઊંડા પાણીમાં ખાબક્યા હતા. કેનાલમાં પડ્યા બાદ રાજુભાઈ પાણીના તેજ પ્રવાહમાં આશરે 7 કિલોમીટર સુધી તણાતા રહ્યા હતા. છેક અડાલજ વોટર સાઈટ પાસે કેનાલમાં બાંધેલું દોરડું પકડી લેતા તેમનો જીવ બચી ગયો હતો. ત્યાં હાજર સિક્યોરિટી જવાનોએ તેમને બહાર કાઢ્યા હતા, જ્યાં રાજુભાઈએ રડતા રડતા પોતાના બંને બાળકો પણ પાણીમાં ડૂબી ગયા હોવાની આપવીતી સંભળાવી હતી. બનાવની જાણ થતા જ પોલીસ અને તરવૈયાઓની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ગુરુવારે કેનાલમાંથી બાઈક તો મળી આવ્યું હતું, પણ બાળકોનો પત્તો લાગ્યો નહોતો. દરમિયાન, શુક્રવારે કડીની કરણનગર કેનાલમાંથી મોટા પુત્ર યશનો મૃતદેહ મળી આવતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. જ્યારે 7 વર્ષના મનદીપની હજુ પણ શોધખોળ ચાલી રહી છે. આ હૃદયદ્વાવક ઘટનાએ ગામમાં ચકચાર મચાવી છે. હાલ નાના પુત્રની શોધખોળ ચાલું છે.
જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ:સંકલન બેઠકમાં માત્ર એક ધારાસભ્ય હાજર રહ્યા
જિલ્લા સંકલન સમિતિની બેઠક કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાય છે જેમાં ધારાસભ્યોએ ઉપસ્થિત રહીને પોતાના વિસ્તારના લોક પ્રશ્નો અધિકારીઓ સમક્ષ રજૂ કરી તેના નિકાલ માટેના પ્રયાસ કરવાના હોય છે પરંતુ શનિવારે યોજાયેલી જિલ્લા સંકલન બેઠક જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જિલ્લામાં કુલ 5 ધારાસભ્યો છે પરંતુ આ બેઠકમાં એકમાત્ર માણસાના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા. જેથી માત્ર માણસાના પ્રશ્નો તેમણે રજૂ કર્યા હતા જેના ઉકેલ માટે ડીડીઓ દ્વારા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. સંકલન બેઠકમાં અધ્યક્ષસ્થાનથી ડીડીઓ બી.જે. પટેલ દ્વારા સરકારી વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જળવાય અને વહીવટી કામગીરીમાં ગતિશીલતા આવે તે બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો તથા બાકી રહેલા પેન્શન કેસો, વહીવટી મંજૂરીઓ અને નાગરિકોની સુખાકારીને લગતા પ્રશ્નોને અગ્રતા આપી પૂર્ણ કરવા માટે પણ સંબંધિત અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી. સંકલનની બેઠક યોજાય ત્યારે ધારાસભ્ય પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કરીને તેનો યોગ્ય ઉકેલ આવે તેવી રજૂઆત કરતા હોય છે. પરંતુ માણસા સિવાયના તમામ 4 ધારાસભ્યોના વિસ્તારમાં લોકોને સ્પર્શે તેવા કોઇ પ્રશ્નો ન હોય તેમ યોજાયેલી બેઠક પરથી લાગી રહ્યું છે. કેમ કે અન્ય કોઇ હાજર નહોતું.
ગેરરીતિ અને કાળાબજાર રોકવા મોનિટરીંગ શરૂ:મહિનામાં વ્યાજબી ભાવની 90 દુકાનોમાં ઓચિંતી તપાસ કરાઇ
ગાંધીનગરમાં ગરીબો માટે ચાલતી અનાજના જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળની સસ્તા અનાજની દુકાનોમાં ગેરરીતિ અને કાળા બજાર રોકવા માટે જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા ખાસ મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. એક મહિનામાં જ ગાંધીનગર જિલ્લાની વ્યાજબી ભાવની 90 દુકાનોની તપાસ કરવામાં આવી હતી. જોકે, આ સમયગાળામાં માત્ર એક પેટ્રોલ પંપ પર જ તપાસ કરવામાં આવી હતી. આ દુકાનોમાં ગ્રામ્ય અને શહેરી કક્ષાની તકેદારી સમિતિના સભ્યોની વિગતો જેમ કે નામ, આધાર અને મોબાઈલ નંબર ‘’ipds’’ પોર્ટલ પર તાત્કાલિક અપડેટ કરવા સૂચના પણ આપવામાં આવી હતી. કલેક્ટર કચેરીમાં યોજાયેલી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા જિલ્લા તકેદારી સમિતિની બેઠકમાં તોલમાપ વિભાગ અને ખોરાક તથા ઔષધ નિયમન તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. ગ્રાહકોને પુરેપુરો જથ્થો મળે અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાય તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી. જિલ્લામાં NFSA -નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળના રેશનકાર્ડ ધારકોમાં 99.98 % જેટલી આધાર સીડીંગની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. તથા NFSA હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોની યાદીમાં સમાવેશ કરવા માટે મળેલી કુલ 274 અરજીઓનો જાન્યુઆરી માસમાં નિકાલ કરવામાં આવ્યો છે. જાન્યુઆરી માસ દરમિયાન જિલ્લાના કુલ 1.63 લાખ રેશનકાર્ડ ધારકો પૈકી 1.55 લાખ કાર્ડધારકોને આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લામાં અન્ન અને નાગરિક પુરવઠાની સ્થિતિ, વિતરણ વ્યવસ્થા અને ગ્રાહક સુરક્ષાના વિવિધ પાસાઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. નાગરિકોને સમયસર પુરવઠો મળી રહે અને દુકાનના માલિક કોઇ ગફલો કાળાબજાર તો નથી કરી રહ્યા ને તે તપાસવા માટે જિલ્લા પુરવઠા તંત્ર નજર રાખી રહ્યું છે.
ભાસ્કર એક્સક્લુસિવ:સિવિલ અને યુએન હોસ્પિટલ વચ્ચે 1 જ MRI, એ પણ 9થી 5 સુધી થાય
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં MRI કરાવવા જતા દર્દીઓ હાલમાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એમઆરઆઇ ટેસ્ટ કરાવવા માટે હાલ સિવિલમાં 15 દિવસનું વેઇટિંગ ચાલે છે. એટલે કે કોઇ દર્દીને સમસ્યા હોય અને ડોક્ટર એમઆરઆઇ રિપોર્ટની ભલામણ કરે તો ટેસ્ટ કરાવવામાં 15 દિવસની રાહ જોવી પડે છે. સંખ્યાની દ્રષ્ટીએ રોજના દર્દીઓ બહુ વધારે નથી, સિવિલમાં એક MRI મશીન કાર્યરત પણ છે પરંતુ વ્યવસ્થાના અભાવે દર્દીને બે અઠવાડિયા કે તેના પછીની તારીખ આપવામાં આવે છે. તપાસ કરતા જણાયું કે સિવિલમાં MRI મશીન એક જ શિફ્ટમાં એટલે કે સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી ચલાવાય છે અને ત્યાં સુધીમાં થાય તેટલા ટેસ્ટ કરાય છે. ક્યારેક તો ટેક્નિશિયન વહેલા જતા રહે તો વહેલું પણ બંધ કરી દેવાય છે. એક દર્દીનો MRI ટેસ્ટ કરવામાં અંદાજે 45 થી 50 મિનિટનો સમય લાગે છે. પરિણામે દિવસ દરમિયાન મર્યાદિત સંખ્યામાં જ તપાસ થઈ શકે છે. રોજ સરેરાશ 13 થી 15 નવા દર્દીઓ MRI માટે આવે છે. સિવિલમાં ઇનડોર એટલે કે દાખલ થયેલા દર્દીઓના MRIને પ્રાથમિકતા અપાય છે જોકે તેમાં પણ બેથી ત્રણ દિવસનું વેઇટીંગ ચાલે છે. જો બે કે ત્રણ શિફ્ટ કાર્યરત કરવામાં આવે તો આ વિલંબ નિવારી શકાય તેમ છે પરંતુ સિવિલ સત્તાતંત્ર દ્વારા આ મામલે કોઇ દરકાર લેવામાં આવતી નથી. રેડિયોલોજી વિભાગની મનસુફી પર સમગ્ર તંત્ર ચાલી રહ્યું છે. મણકાની સમસ્યા, બ્રેઇન સ્ટ્રોક, અકસ્માત સહિતની ગંભીર સમસ્યા વખતે MRI કરાવવાનું રહેતું હોય છે પરંતુ 15 દિવસનું વેઇટીંગ હોવાથી દર્દીઓને નાછૂટકે ખાનગી સેન્ટરો પર હજારો રૂપિયા ખર્ચવા પડે છે. જોકે, ઇમરજન્સી અને ગંભીર અકસ્માતના કેસમાં તાત્કાલિક MRI કરી દેવાય છે પરંતુ સિવિલમાં આવતાં ગરીબ દર્દીઓ માટે સરકારે લાખો રૂપિયાના ખર્ચે વસાવેલી સુવિધા યોગ્ય વ્યવસ્થાના અભાવે યોગ્ય ઉપયોગમાં આવી શકતી નથી. રેડિયોલોજી વિભાગમાં પૂરતો સ્ટાફ છતાં વેઇટિંગની સ્થિતિસિવિલના રેડિયોલોજી વિભાગમાં 3 આસિસ્ટન્ટ પ્રોફેસર અને 4 રેસિડેન્ટ ડોક્ટરોનો સ્ટાફ ઉપલબ્ધ છે. આટલો સ્ટાફ હોય તો 8-8 કલાકની ત્રણ શિફ્ટમાં MRI મશીન ચલાવી શકાય છે. પરંતુ તપાસ દરમિયાન જણાયું કે મોટાભાગની કામગીરી ટેકનિશિયનોના ભરોસે ચાલી રહી છે. ટેસ્ટ થયા બાદ તરત જ રીપોર્ટ પણ તૈયાર થવો જોઇએ પરંતુ રેડિયોલોજીસ્ટ પોતાની અનુકુળતા પ્રમાણે રીપોર્ટ લખતા હોવાથી રીપોર્ટ પણ સમયસર તૈયાર થતો નથી. આ બાબતનો ખ્યાલ હોવા છતાં સિવિલના સત્તાતંત્ર દ્વારા કોઇ પગલાં લેવાતા નથી. ઉચ્ચકક્ષાએથી નોંધ લઇને આ પ્રકારે દર્દીઓને હેરાન થતી હેરાનગતિ અટકાવવા યોગ્ય વ્યવસ્થા ગોઠવાય તે જરૂરી છે. ટેસ્ટ થાય તો પણ રિપોર્ટ 5 દિવસ પછી મળે છેમાત્ર તપાસ માટે જ નહીં, પણ MRI થયા પછી રિપોર્ટ મેળવવા માટે પણ દર્દીઓને 5 દિવસ સુધી રાહ જોવી પડે છે. ગંભીર હાલતમાં આવેલા દર્દીઓ માટે આ વિલંબ વધુ ચિંતાજનક સાબિત થઈ રહ્યો છે, કારણ કે સમયસર રિપોર્ટ ન મળતા સારવારમાં વિલંબ થાય છે. દર્દીઓ વધે પણ શિફ્ટ વધારાતી નથીમળતી માહિતી મુજબ, સિવિલ અને યુએન મહેતા કાર્ડિયાક સેન્ટર વચ્ચે એક જ MRI મશીનનો ઉપયોગ થાય છે. યુએન મહેતા હોસ્પિટલના દર્દીઓના ટેસ્ટ પણ આ જ સેન્ટરમાં થાય છે જેથી દર્દીઓની સંખ્યા વધી છે. છતાં સિવિલ દ્વારા શિફ્ટ વધારવામાં આવતી નથી.
ભાસ્કર યુટિલિટી:ધારી આઇટીઆઇમાં 25મીએ રોજગાર ભરતી મેળો યોજાશે
અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકોને રોજગારીનો અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રોના અગ્રગણ્ય એકમો માટે 18 થી 45 વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાઓને અનુરૂપ ધોરણ 10, ધો.12, આઇ.ટી.આઇ, ડિપ્લોમા, બી.એસ.સી, એમ.એસ,સી, બી.ફાર્મ, એમ.ફાર્મ, બ્યુટીશીયન, હેરડ્રેસર, ધો. 10 (કોમ્પ્યુટર નોલેજ), બ્યુટીપાર્લરના કોર્સ કરેલા ઉમેદવાર માટે ધારી આઈટીઆઈ ખાતે 25મીએ રોજગાર ભરતી મેળો યોજાશે. કેશીયરની જગ્યા માટે- બી.કોમ, એમ.કોમ, સ્ટોક મેનેજર-ફ્લોર મેનેજરની જગ્યા માટે બી.બી.એ, એમ.બી.એ.ની શૈક્ષણિક લાયકાત ધરાવનાર ઉમેદારો માટે રોજગાર ઈચ્છુકો માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી તા. 25ના રોજ સવારે 11 કલાકે ઔદ્યોગિક તાલીમ સંસ્થા ધારી ખાતે રોજગાર મેળો યોજાશે.
ગામડાની દીકરીનો રાજ્ય કક્ષાએ લલકાર:ભુવા ગામની છાત્રા આંગળીથી સૂર રેલાવી ઝોન કક્ષાએ પ્રથમ આવી
અમરેલી -તાજેતરમાં યોજાયેલા ઝોન કક્ષાના કલા ઉત્સવમાં અમરેલી જિલ્લાનું નામ રાજ્ય સ્તરે રોશન થયું છે. ધારી તાલુકાની ચલાલા ગામની ભુવા કન્યા શાળાની તેજસ્વી વિદ્યાર્થીની રાઠોડ સેજલ મગનભાઈએ હાર્મોનિયમ વાદન સ્પર્ધામાં પોતાની અદભૂત કલાનું પ્રદર્શન કરી ઝોન કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. સેજલની આ ભવ્ય સફળતાએ માત્ર શાળાનું જ નહીં પરંતુ સમગ્ર અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ગ્રામીણ વિસ્તારમાં રહેતી આ દીકરીએ પોતાની મહેનત અને સંગીત પ્રત્યેની રુચિને કારણે આ સિદ્ધિ હાંસલ કરી છે. આ ગૌરવશાળી સફળતાને બિરદાવવા માટે ભુવા કન્યા શાળા ખાતે એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના આચાર્ય હરેશભાઈ જેબલિયા તથા સમગ્ર શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીનીનું સન્માન કરવામાં આવ્યું હતુ. આ સફળતામાં માર્ગદર્શક શિક્ષક નિમાવત સુરેશભાઈ તથા સાદીયા પારુલબેનનું પણ શાળા પરિવાર દ્વારા સન્માન કરી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી. ઝોન કક્ષાએ વિજેતા થયા બાદ હવે છાત્રા આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં અમરેલી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ તેજસ્વી વિદ્યાર્થીની રાજ્ય કક્ષાએ પણ પોતાની કલાનો જાદુ વિખેરે અને વિજેતા બનીને પરત ફરે તે માટે શાળાના આચાર્ય, શિક્ષકો અને ગ્રામજનો દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
દૈનિક સ્પેશિયલ ટ્રેન દોડાવવા રેલવેનો નિર્ણય:ચલાલા જૂનાગઢ વચ્ચે 23મીથી ફરી ટ્રેન દોડતી થશે
પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર રેલવે મંડળના મીટરગેજ સેક્શનમાં વિશેષ ભાડા પર જૂનાગઢ અને ચલાલા સ્ટેશનો વચ્ચે 23 ફેબ્રુઆરી સોમવારથી દૈનિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બ્રોડગેજ લાઈનના કારણે અહીં ટ્રેન વ્યવહાર બંધ કરાયો છે. પરંતુ એક વર્ષ બાદ ફરી આ રૂટ પર ચલાલાથી ટ્રેન દોડતી થશે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી મુજબ જૂનાગઢથી ચલાલા જતી દૈનિક મીટરગેજ સ્પેશિયલ ટ્રેન જૂનાગઢ સ્ટેશનથી સવારે 10:40 વાગ્યે પ્રસ્થાન કરશે અને બપોરે 14:10 વાગ્યે ચલાલા સ્ટેશન પહોંચશે. વાપસીમાં ચલાલાથી જૂનાગઢ જતી દૈનિક મીટરગેજ સ્પેશિયલ ટ્રેન ચલાલાથી બપોરે 14:40 વાગ્યે પ્રસ્થાન કરશે અને સાંજે 17:35 વાગ્યે જૂનાગઢ સ્ટેશન પહોંચશે. હાલમાં અમરેલીથી ખીજડીયા વચ્ચે બ્રોડગેજ લાઈનનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે જુનાગઢ અને વેરાવળની ટ્રેનો બંધ કરી દેવામાં આવી છે. પરંતુ હવે ચલાલાથી જુનાગઢની દૈનિક ટ્રેન શરૂ કરવા નિર્ણય લેવાયો છે. અલબત્ત હજુ વેરાવળની ટ્રેન શરૂ કરવા કોઈ નિર્ણય લેવાયો નથી. વળી આ સ્પેશ્યલ ટ્રેન શરૂ કરાય છે અને ખાસ ભાડા પર દોડાવવામાં આવશે. આ ટ્રેન ફરી શરૂ કરવા માટે અમરેલી જિલ્લામાંથી ચલાલા અને ધારી પંથકમાંથી સતત માંગણી ઉઠી રહી હતી. મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ મુસાફરોને આ ટ્રેનનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી છે. આ ટ્રેન કયા કયા સ્ટેશન પર ઉભી રહેશે ?ચલાલા જૂનાગઢ વચ્ચે દોડનારી આ ટ્રેન માર્ગમાં તોરણિયા, બિલખા, જુની ચાવંડ, વિસાવદર, જેતલવડ, ભાડેર અને ધારી સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.
અમરેલી તાલુકાના મોટા ગોખરવાળા ગામના એક મહિલા ખેડૂતે ગુજરાત પાણી પુરવઠા બોર્ડની બેદરકારી સામે લાલ આંખ કરી છે. વારંવાર પાણીની લાઇન તૂટવાને કારણે ખેતીના પાકને થતા આર્થિક નુકસાન બદલ મહિલાએ વિભાગને રૂપિયા 10 લાખના વળતરની માંગણી કરતી કાનૂની નોટિસ મોકલી છે. અમરેલીના મોટા ગોખરવાળા ગામના રહેવાસી ભાવનાબેન સતીષભાઈ કથીરીયાએ કાર્યપાલક ઈજનેર ગુજરાત પાણી પુરવઠા બોર્ડ અમરેલી વિભાગને સંબોધીને આ નોટિસ પાઠવી છે. નોટિસમાં જણાવ્યા મુજબ છેલ્લા અંદાજે 25 વર્ષથી તેમની ઉપજાઉ જમીન પરથી પાણી પુરવઠા બોર્ડની મુખ્ય લાઇન પસાર થાય છે. આ લાઇન વારંવાર તૂટતી હોવાથી ખેતરમાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે ઉભો પાક ખાસ કરીને કપાસ સંપૂર્ણપણે નિષ્ફળ જાય છે. લાઇન રિપેરિંગ દરમિયાન પણ મશીનરી અને મજૂરો દ્વારા ઉભા પાકને દબાવીને કે કાપીને ભારે નુકસાન પહોંચાડે છે. આ બાબતે અનેકવાર મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. સતત થતા આ નુકસાનને કારણે મહિલા ખેડૂતની આજીવિકા પર ગંભીર અસર પડી છે. જેને લઈ મહિલા અરજદારે નોટિસમાં સ્પષ્ટપણે માંગ કરી છે કે, બોર્ડની બેદરકારીને કારણે તેમને અંદાજે 10 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. આ રકમ નોટિસ મળ્યાના 30 દિવસની અંદર ચૂકવી આપવી અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કાયમી વ્યવસ્થા કરવી. જો નિર્ધારિત સમયમાં વળતર નહીં મળે તો આ મામલે સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. તંત્રની આ ઢીલી નીતિ સામે મહિલાએ કાયદાકીય માર્ગ અપનાવી હવે પાણી પુરવઠા વિભાગને કાયદાનું ભાન કરાવ્યું છે.
પ્રખ્યાત લોકસાહિત્યકાર પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગનાં જીવનદર્શન પર આધારિત પુસ્તક ''વાણી તો અમરત વદાં''નું 23 વર્ષ બાદ અમરેલી જિલ્લાના કાગધામ મજાદર ખાતે સુપ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુના હસ્તે પુન:વિમોચન થયું હતું. રાજ્યનાં માહિતી ખાતાએ તૈયાર કરેલી નવી આવૃત્તિનું કવિ કાગની 49મી પુણ્યતિથિ નિમિત્તે ''કાગના ફળિયે કાગની વાતુ'' કાર્યક્રમના ૨૫માં મણકા નિમિતે અમરેલી જિલ્લામાં આવેલા કાગધામ મજાદરમાં વિમોચન કરવામાં આવ્યુ હતુ. આ પુસ્તકનું વિમોચન મોરારીબાપુ સાથે વી.એસ. ગઢવી, પુસ્તકના સંપાદક, અંબાદાન રોહડીયા, ગુજરાત પ્રેસ અકાદમીના સચિવ, જયેશ દવે, રામભાઈ જામંગની ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું. આ પુસ્તકમાં જાણીતા લેખક અને હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ, જાણીતા કવિ અને નિવૃત્ત સનદી અધિકારી ભાગ્યશ જહા, વી.એસ.ગઢવી, લક્ષ્મણ પિંગળશી ગઢવી સહિતના સમર્થ લેખકો દ્વારા લખાયેલા 43 ચેપ્ટરો કાગ સાહિત્ય પ્રેમીઓ માટે ઉપયોગી પુરવાર થશે. ગ્રંથમાં મુકાયેલ QR કોડ મોબાઇલની મદદથી સ્કેન કરવાથી કાગબાપુના કંઠે રજૂ થયેલ લોકરામાયણ, મહાભારત અને અન્ય કૃતિઓ આકાશવાણીના પ્રસંગો સાંભળી શકાશે.
અમરેલી શહેરના મુખ્ય માર્ગોની હાલત હાલ બદતર બની છે. અમરેલી નગરપાલિકાની આળસ અને વહીવટી નિષ્ફળતાના કારણે શહેરના રાજમાર્ગો હવે ગટરના ગંદા પાણીથી ઉભરાઈ રહ્યા છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમરેલીના બસ સ્ટેન્ડ મેઈન રોડ પર આવેલી અજમેરા સ્કૂલથી લઈ લક્ષ્મી નારાયણ મંદિર સુધી ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળે છે. આ દ્રશ્યો જોતા એવું લાગે છે કે જાણે પાલિકાના ચોપડે જ સ્વચ્છતા જીવંત છે, વાસ્તવિકતામાં તો ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે. અજમેરા સ્કૂલના નાના ભૂલકાઓ આ ગંદા પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે. બીમારી ફેલાવવાની દહેશત છતાં તંત્ર નિંદ્રામાં છે. તો બાજુમાં જ આવેલી ખાનગી હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓને આ દુર્ગંધયુક્ત પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. મુખ્ય માર્ગ હોવાથી સતત લોકોની અવરજવર રહે છે, ગંદા પાણી ઉડવાને કારણે વાહનચાલકો વચ્ચે અવારનવાર ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાય છે. સ્વચ્છતાના નામે લાખોના બિલો મંજૂર થાય છે, પણ કામ માત્ર કાગળ પરજ થતા હોવાના સ્થાનિકોએ આક્ષેપો કર્યા છે. સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકાના સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી. શહેરના મુખ્ય વિસ્તારની જો આ હાલત હોય, તો અન્ય વિસ્તારોની કલ્પના કરવી જ મુશ્કેલ છે.
સરકારનો મહત્વનો નિર્ણય:ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના લાભાર્થીઓના વ્યાજ, દંડનીય વ્યાજ માફ કરાશે: સરકાર
ગુજરાત સરકારના ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ હેઠળ મકાન મેળવનારા ગરીબ અને મધ્યમ વર્ગના લાભાર્થીઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતકારી નિર્ણય લીધો છે. લાંબા સમયથી પડતર રહેલા હપ્તાઓને કારણે વ્યાજ અને દંડનીય વ્યાજની રકમ એટલી મોટી થઈ ગઈ હતી કે નાના લાભાર્થીઓ માટે તે ભરપાઈ કરવી અશક્ય બની ગઈ હતી. જે હવે માફ કરવાનો નિર્ણય લેવાયો છે. આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈ લાભાર્થીઓ માટે ચલાલા નગરપાલિકાના પૂર્વ ઉપ-પ્રમુખ અનિરુદ્ધભાઈ દિલુભાઇ વાળાએ અન્ય સદસ્યને સાથે રાખી ધારાસભ્ય જે.વી. કાકડીયાને વખતોવખત રજુઆતો કરી હતી. જે.વી. કાકડીયાએ સરકારમાં અને વિધાનસભાના ફ્લોર પર રજૂઆત કરી હતી, જેના પરિણામે રાજ્ય સરકારે તમામ લાભાર્થીઓના વ્યાજ અને દંડનીય વ્યાજ માફ કરવાની જાહેરાત કરી છે. ગ્રામીણ વિસ્તારોમાં આવાસ યોજના હેઠળ ઘર મેળવનારા અનેક પરિવારો આર્થિક તંગીને કારણે સમયસર હપ્તા ભરી શક્યા નહોતા, જેના પર ચક્રવૃદ્ધિ વ્યાજ અને દંડ લાગતા રકમ અનેક ગણી વધી ગઈ હતી.
પરિણીતાએ જીવન ટૂંકાવ્યું:ઘરકામ મુદ્દે બોલાચાલી થતા માખીયાળાની પરિણીતાનો આપઘાત
ઘરકામ મુદ્દે બોલાચાલી થતા માખીયાળાની પરિણીતાનો આપઘાત કરી લેતા પરિવારજનોમાં ગમગીની સાથે અરેરાટી પ્રસરી ગઇ હતી. જૂનાગઢ તાલુકાના માખીયાળા ગામે ખરાવાડ પ્લોટમાં રહેતા 21 વર્ષીય પરિણીતા તેજલબેન રાજેશભાઈ ચારોલીયાને ઘર કામ મુદ્દે પરિવારના સભ્યો સાથે બોલાચાલી થઈ હતી. જેનું લાગી આવતા પરિણીતાએ ગુરુવારે ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન મૃત્યુ થયા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. તાલુકા પોલીસે મૃતકના પતિ રાજેશ ઉર્ફે રાજુ કેશુભાઇ ચારોલીયાનું નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી હતી. અન્ય એક કિસ્સામાં માળીયાહાટીના તાલુકાના કડાયા ગામના 46 વર્ષીય જેન્તીભાઈ હમીરભાઈ ભુવાના લગ્ન થયેલ ન હોય એક્લવાયુ જીવન જીવતા હતા. જેથી લાગી આવતા શુક્રવારે બપોરે પોતાના ઘરે આંબાના ઝાડ સાથે ગળાફાંસો ખાઈને મોતને મીઠું કરી લીધું હતું. જેની જાણ મૃતકના ભાઈ જીતેન્દ્રભાઈએ કરતા પોલીસે કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.
વેધર રિપોર્ટ:તાપમાન 35 ડિગ્રીને પાર, સવારે 18.4 નોંધાયું
છેલ્લા ત્રણ દિવસથી જૂનાગઢ સહિત સોરઠમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે જેના પગલે શનિવારે મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રી અને પાર થઈ ગયો હતો. શુક્રવારે જુનાગઢનું લઘુત્તમ તાપમાન 17.6 ડિગ્રી રહ્યા બાદ શનિવારની સવારે સામાન્ય વધારા સાથે લઘુતમ તાપમાન 18.4 ડિગ્રી નોંધાયું હતું જેની સાથે 24 કલાકમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને 75 ટકાએ પહોંચી જતા સવારે એકંદરે ઠંડક અનુભવાઈ હતી. પરંતુ બપોર થતાની સાથે જ આકાશમાંથી અગ્નિવર્ષા શરૂ થઈ જતા મહત્તમ તાપમાન વધીને 35.7 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. બપોરની હવામાં ભેજનું પ્રમાણ 20 ટકા યથાવત રહ્યું હતું. જ્યારે દિવસ દરમિયાન 4.6 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો.
કેશોદના બામણાસા ઘેડ ગામે તાજેતરમાં ભૂમાફિયાઓએ ગૌચરમાં 5 વિઘાનું તાજું ખોદકામ કરી નાખતાં ગામના જ મંગાભાઈ રૂપાભાઈ મગરા નામના વ્યક્તિએ ખનીજ વિભાગને લેખિત ફરિયાદ કરી હતી. આ અંગે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસારિત કરાતાં ખાણ ખનીજ વિભાગની ટીમ ખોદકામ સ્થળે દોડી આવી હતી. અને ગૌચરમાં મસમોટું ખોદકામ કર્યું હોય જે તાજું ખોદકામ હોય તેવી પુષ્ટિ કરી હતી અને અરજદારને જણાવ્યું કે હવે ખોદકામ થાય તો જાણ કરજો તેમ કહી ઉંડાણ પૂર્વક ખાડાના રોજકામ સહિત કોઈ કાર્યવાહી કરી ન હતી. હવે વર્ષોથી ભૂમાફિયા અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ - કર્મચારીઓ વચ્ચે મીઠા સબંધો હોય તેવા અરજદારો દ્વારા આક્ષેપો કરાતાં હોય એવું બામણાસા ઘેડ ગામે ખોદકામ સ્થળે જોવા મળ્યું હતું. જયારે ખાણ ખનીજ વિભાગની ટીમ બામણાસા ઘેડ ખોદકામ સ્થળે તપાસ કરવા આવતાં વાહન જોવા મળ્યાં ન હતાં આથી અધિકારી - કર્મચારીઓએ અરજદારની અરજી મોડી મળી હોય તેવું બહાનું ધરી તપાસના નામનું ડિંડક કરી વાહન ન હોય દંડ કોને કરવો તે માટે રોજકામ કરવાનું ટાળી ખાણ ખનીજ વિભાગની ટીમ જતી રહી હતી. હવે જો આવું ખોદકામ ચાલતું રહેશે તો છેલ્લાં 10 વર્ષમાં 200 વિઘા ગૌચર ખોદાઈ ગયું તેમ 1200 વિઘા ગૌચર બચાવવું કઠીન થઈ પડશે તેવું અરજદાર અને ગામલોકોએ જણાવ્યું હતું. તપાસના નામે માત્ર નાટક, કામગીરી સામે સવાલોઆ અંગે ખાણ ખનીજ વિભાગના કર્મચારી જયદીપભાઈ ઘેડિયા સાથે ફોન પર વાત કરતાં તેમણે ખોદકામ તાજું હોવાની વાતની પુષ્ટિ કરી પરંતુ ખોદકામ સ્થળે વાહન ન હોય કોને દંડ કરવો તે માટે રોજકામ ન કરાયાનું જણાવ્યું હતું. રાત્રીના સમયે ઓઝત પર રેત માફિયાઓનો કબજો વંથલી નજીકની ઓઝત નદીમાં પણ ખુલ્લેઆમ રેતીની ચોરી થઈ રહી છે અને રાત્રીના સમયે હોડી મારફત રેતી કાઢી બારોબાર વેચી નાખવામાં આવી રહી છે અને સરકારને લાખનો ચુનો લગાડવામાં આવી રહ્યો છે.રેતમાફિયાઓ હવે તો ઓઝત પુલ નજીક પહોંચ્યા છે અને નદીનું નીર પાણી ડહોળુ કરી નાખ્યું છે.આ મુદ્દે પણ તપાસ થવી જોઈએ અને દંડનિય કાર્યવાહી કરવી જરૂરી છે. નાની ઘંસારીમાં પોલીસ અને ભૂમાફિયાઓ વચ્ચે સમાધાન !કેશોદ નજીક આવેલા નાની ઘંસારી ગામે તા. 24 જાન્યુ. 2026 ના રોજ જેસીબી અને ટ્રેકટર માટીચોરી કરી રહ્યાં હતાં. કોઈએ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી વાહનોનેરાઉન્ડઅપ પણ કર્યા હતાં પરંતુ આ બાબતે કોઈધોરણસર કાર્યવાહી કરવામાં આવી ન હતી જો કે આવિષય ખાણ ખનીજ વિભાગનો હોય તો પોલીસ ખાણ ખનીજ વિભાગની ટીમને લીધા વગર ઘટનાસ્થળે કેમ પહોંચી ? ખરેખર જો પોલીસે ખાણ ખનીજને જાણ કરી હોય તો કાર્યવાહી કેમ કરવામાં નઆવી ? અગાઉ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પોલીસને ખનીજ ચોરી ખાણ ખનીજ વિભાગનોવિષય હોય ફોજદારી ગુન્હોં બનતો ન હોય તેવા સમયે પોલીસ તેમાં હસ્તક્ષેપ ન કરે તેવી અપીલ કરીહતી ત્યારે જે તે સમયે પોલીસની હાજરી શંકા ઉપજાવે તેવી હોવાનું ગામલોકોમાં ચર્ચાનો વિષયબન્યો હતો જો કે પાછળથી પકડાયેલાં ટ્રેક્ટર અને જેસીબીવાળાઓએ બોલવાનું ટાળતાં સમાધાનથયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કરુણાંતિકા સર્જાઈ:નિર્માણાધીન કોર્ટ બિલ્ડીંગના સાતમા માળેથી પડી જતા પરપ્રાંતીય સગીરાનું મોત
શહેરમાં નિર્માણાધીન કોર્ટ બિલ્ડીંગના સાતમા માળેથી પડી જતા પરપ્રાંતીય સગીરાનું મૃત્યુ થતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. શહેરમાં આઝાદ ચોક પાસે જૂની સિવિલ હોસ્પિટલની જગ્યાએ નવી બની રહેલી કોર્ટ બિલ્ડિંગમાં મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના પરિવારની 15 વર્ષીય પ્રિયંકાબેન રાકેશભાઈ ડામોર નામની સગીરા ગુરુવારે બપોરના અરસામાં નવી કોર્ટ બિલ્ડીંગના સાતમા માળેથી પડી જતા તેનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજ્યું હતું. જેની જાણ મૃતકના પિતા રાકેશભાઈ ભારતીયાભાઈ ડામોરે કરતા બી ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ કે. એસ. કરમટાએ હાથ ધરી હતી. જ્યારે અન્ય એક કિસ્સામાં માંગરોળ ખાતે આંબેડકર ભવનની પાછળ રહેતા 31 વર્ષીય રંજનબેન દિનેશભાઇ ગોહેલના ઘરે છેલ્લે ઘણા સમયથી કુટુંબ પરિવાર આવતા ન હોય તેમજ રંજનબેન જીદ્દી સ્વભવના હોવાના કારણે લાગી આવતા બુધવારે વહેલી સવારે એસિડ પી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમ્યાન મૃત્યુ થતા પરિવારજનોમાં ગમગીની પ્રસરી ગઈ હતી. ઘટના અંગે પોલીસે મૃતકના પતિ દિનેશભાઈ મેઘાભાઈનું નિવેદન લઈ આગળની કાર્યવાહી કરી હતી.
લેન્ડગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ:ગૌચર પર ખેતી કરતા 3 મહિલા સહિત 15 શખ્સ સામે લેન્ડગ્રેબિંગ
પત્રાપસર ગામે ગૌચર પર દબાણ કરી ખેતી કરતા 3 મહિલા સહિત 15 શખ્સ સામે ટીડીઓએ ફરિયાદ કરતા પોલીસ દ્વારા લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જૂનાગઢ તાલુકા પંચાયત કચેરીના ટીડીઓ ડો.રાજેન્દ્રસિંગ વેલસિંગ ઠાકોરની ફરિયાદ અનુસાર જૂનાગઢ તાલુકાના પત્રાપસર ગામ ખાતે ગ્રામ પંચાયત હસ્તક ગૌચરની જમીન આવેલ છે. જેના ઉપર અનઅધિકૃત દબાણ કરી જમીનમાં વાવેતર કરીને ગામના 15 શખ્સે જમીન પચાવી પાડી હોવાનું ધ્યાન પર આવ્યું હતું. જે અંગે પત્રાપસરના સવિતાબેન છગન મકવાણા, લાલજી સુરાભાઈ ગંડેસર, તેનો ભાઈ મનસુખ, રમાબેન ખોડા સાગઠીયા, દિનેશ દેસાભાઇ મકવાણા, જયસુખ કાળાભાઈ દવેરા, માધા પાલાભાઈ ગંડેસર, હરિ કરસન ગંડેસર, અરવિંદ મોહનભાઈ મકવાણા, જેરામ વીરજીભાઈ દવેરા, સવિતાબેન જીવન મકવાણા, કાંતિ વિરજીભાઈ દવેરા, હરેશ શાંતિભાઈ મકવાણા, મયુર વજુભાઈ મકવાણા અને વલ્લભ જેરામભાઈ દવેરા સહિત 15 શખ્સ સામે ટીડીઓએ શુક્રવારે ફરિયાદ કરતા તાલુકા પોલીસે તમામની વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. વધુ તપાસ ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ હાથ ધરી હતી. ગુનો નોંધ્યા બાદ પોલીસે આરોપીઓને દબોચવાની કાર્યવાહી હાથ ધરી છે.
લૂંટ:કેશોદમાં સ્કોર્પિયોમાં આવેલા શખ્સોનો યુવક પર હુમલો, રૂા. 8,900ની લૂંટ
કેશોદના પીપળીયાનગર વિસ્તારમાં શુક્રવારે રાત્રે સ્કોર્પિયોમાં આવેલા શખ્સોએ યુવક પર હુમલો કરી રૂપિયા 8,900ની લૂંટ ચલાવી ધમકી આપી નાસી ગયા હતા. કેશોદ પીપળીયાનગરમાં રહેતો 23 વર્ષીય મીત રાજુભાઈ શીંગાળા નામનો યુવક શુક્રવારની રાત્રે 11 વાગ્યે તેનો મિત્ર કેયુર કિરીટભાઈ સિધ્ધપરા પીપળીયાનગરના હનુમાન મંદિર પાસે બેઠા હતા. ત્યારે નંબર પ્લેટ વગરની કાળા કલરની સ્કોર્પિયો કારમાં પ્રિન્સ ભેડા, ઉદીપ ભેડા અને યશપાલ લઠીયા નામના શખ્સો ધસી આવ્યા હતા અને પૈસાની માંગણી કરી હતી અને પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈ લાકડાના ધોકા તથા ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલા દરમિયાન મીતને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી મિતના પેન્ટના ખિસ્સામાંથી રૂપિયા 8,900ની લૂંટ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે યુવકની ફરિયાદ આધારે ગુનો નોંધી વધુ શોધખોળ હાથ ધરી હતી.
ભાસ્કર એક્સક્લુસિવ:મનપામાં જન્મ-મરણ દાખલા કઢાવવામાં એજન્ટ પ્રથા, અરજદારોની લાંબી કતારો
જામનગર મહાનગરપાલિકામાં જન્મ-મરણ દાખલાના સુધારણાની કામગીરીમાં એજન્ટ પ્રથા ચાલી રહી હોય તેમ, બહાર બેસેલા મળતીયાઓ ફોર્મ ભરીને અંદર આપીને તાત્કાલિક દાખલા કઢાવી આપે છે. તો દાખલા કઢાવવા આવતા લોકો કતારોમાં બે-બે દિવસ સુધી ઉભા રહે છે. તો બીજી બાજુ નિયત કરાયેલી ફી કરતા વધુ રૂપિયા વસુલવામાં આવતા હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી છે. જન્મ-મરણના દાખલામાં સળંગ આખા નામના સરકારના પરિપત્ર મુજબ કામગીરી ચાલી રહી છે. ત્યારે જામનગર મહાનગરપાલિકામાં જન્મ-મરણના દાખલા કઢાવવા માટે દૈનિક 300થી વધુ લોકો આવે છે, સવારથી જનમ-મરણ શાખાની બહાર લોકોની લાંબી કતારો લાગી છે. ત્યારે જન્મ-મરણ શાખામાં કામ કરનારાના મળતીયાઓ એજન્ટ બની ગયા હોય, તેમ બહાર આટાફેરા કરત હોય છ, અને અભણ કે, મોટી ઉંમરના આવ તેઓને ફોર્મ ભરી અને દાખલો કઢાવવાની ફી નક્કી કરી લે છે. બાદમાં તેઓ પાસેથી પૈસા લઈને તે અંદર ઘુસી જઈને પોતાના મળતીયાઓને ભરેલા ફોર્મ આપી દે છે. થોડીવાર પછી પરત અંદર જઈને દાખલાઓ લઈ લે છે. તો બહાર ઉભા રહેતા લોકો સવારથી સાંજ સુધી લાઈનોમાં જ ઉભા રહે છે. તેઓનો બે-બે દિવસ સુધી દાખલા કઢાવામાં વારો આવતો નથી. તો લોકોની વધુ ભીડ જોવા મળે તો તંત્ર દ્વારા 25-30 જેટલા ટોકન આપીને સમજાવી દેવામાં આવે છે.જન્મ-મરણના દાખલા કઢાવવામાં સરકારની નિયમ મુજબ એક દાખલો ફી કાઢી આપવાનો હોય છે, તેમ છતાં શાખામાં તમામ દાખલાઓની ફી વસુલ કરવામાં આવે છે. તો અમુક વ્યક્તિઓને તો 4 દાખલા કાઢી આપીને પાંચ દાખલાની ફી પણ વસુલવામાં આવતી હોવાની પણ ફરિયાદ ઉઠી છે. કલમ 8 અથવા 9 મુજબ ફ્રી દાખલો આપવાનો હોયસરકારી અધિનિયમ મુજબ કોઈ જન્મ અથવા મરણની નોંધી પૂરી થયા પછી તરતરજિસ્ટ્રારે કલમ 8 અથવા કલમ 9 હેઠળ માહિતી આપનાર વ્યક્તિને તે જન્મ અથવામરણ સંબંધી રજિસ્ટરમાંથી ઠરાવેલી વિગતોના ઉતારા પોતાની સહીથી વિના મુલ્યેઆપવાના હોય છે. જન્મ-મરણના દાખલા કાઢવવા મળતીયારાજમહાનગરપાલિકામાં જન્મ-મરણના દાખલા સુધારણા કામગીરીમાં કોઈ મેનેજમેન્ટ જ નથી, મળતીયાઓ દાયરેક અંદર ઘુસી જાય છે અને એકી સાથે બે-પાંચ વ્યક્તિના ફોર્મ અંદર આપી દે છે. જેથી લાઈનમાં ઉભા રહેલા વ્યક્તિઓનો સાંજ સુધી વારો આવતો નથી. સવારના 10 વાગ્યાના લાઈનમાં ઉભા હતા, અને બપોરે 1:30 કલાકે 25 લોકોને ટોકન આપીને બપોર બાદ દાખલો કઢાવવાનું કહ્યું હતું. > ઈશ્વરભાઈ ભટ્ટ બે-ચાર ધક્કા ખાધા પછી જ કામ થાય છે મનપામાં ભાઈના મરણનો દાખલો કઢાવવા માટે સવારનો લાઈનમાં ઉભો હતો, પરંતુ બપોર સુધી વારો આવ્યો નહીં, અને ટોકન પણ આપવામાં આવ્યો નથી. જેથી હવે સોમવારે મરણનો દાખલો કઢાવવા માટે આવવું પડશે. એક દાખલા માટે બે-ચાર ધક્કા ખાવા પડે છે. કામ મુકીને દાખલો કઢાવવા લાઈનમાં ઉભા છે. > ભરતભાઈ શીર
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જામનગર જિલ્લાના ભાદરા ગામની મુલાકાત દરમિયાન પોતાની સાદગી અને કૃષિ પ્રત્યેના લગાવનો પરિચય આપ્યો હતો. ગામની શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિરોકાણ કર્યા બાદ, વહેલી સવારે તેઓ સ્થાનિક ખેડૂત ઘનશ્યામભાઈ ભંડેરીના પ્રાકૃતિક ખેતી મોડલ ફાર્મની મુલાકાતે પધાર્યા હતા. ખેતરની મુલાકાત દરમિયાન માત્ર નિરીક્ષણ જ નહીં, પરંતુ ખેતીની પ્રક્રિયામાં સક્રિય રસ લીધો હતો. તેમણે જાતે ગાયનું દોહન કર્યું હતું અને ખેતરમાં હળ ચલાવીને ઉપસ્થિત સૌ ખેડૂતોને આશ્ચર્યચકિત કર્યા હતા. પ્રાકૃતિક કૃષિ માટે અત્યંત મહત્વના એવા ઘન જીવામૃતની બનાવટનું નિરીક્ષણ કરવાની સાથે તેમણે ખેતરમાં લહેરાતી વિવિધ બાગાયતી પેદાશો અને વૃક્ષોની ગુણવત્તા પણ ચકાસી હતી. સ્થાનિક ખેડૂતો સાથે સંવાદ સાધતા રાજ્યપાલએ જણાવ્યું હતું કે, જમીનનો ઓર્ગેનિક કાર્બન વધારવો એ જ કૃષિની સાચી સમૃદ્ધિ છે. ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવામાં આવતી મુશ્કેલીઓ વિશે જાણી તેમણે તેનું તાર્કિક નિવારણ સૂચવ્યું હતું. તેમણે દરેક ખેડૂતને પ્રાયોગિક ધોરણે ઓછામાં ઓછી એક એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ શરૂ કરવા માટે ભાવભર્યું આહ્વાન કર્યું હતું. ખેડૂત ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું કે, રાજ્યના સર્વોચ્ચ પદ પર બિરાજમાન વ્યક્તિ અમારા જેવા સામાન્ય ખેડૂતના આંગણે આવે અને પોતે ગાય દોહવા, કૃષિ વિષયક કાર્યો કરવા જોઇએ. રાત્રિસભામાં ગ્રામજનો સાથે સંવાદભાદરા ગામની મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉંડ નદીના કિનારે કુદરતના સાનિધ્યમાં રાત્રિ સભા સંબોધી હતી. આ પ્રસંગે તેમણે આધ્યાત્મિકતા, પર્યાવરણ જતન અને સામાજિક જવાબદારીઓ વિશે ગ્રામજનો સાથે હ્ય્દયસ્પર્શી સંવાદ સાધ્યો હતો.
રોગચાળો વકર્યો:લાખાબાવળમાં પોઝિટિવ કેસ નોંધાયો, કોલેરા રોગગ્રસ્ત જાહેર
જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાંથી કોલેરાનો પોઝીટીવ કેસ નોંધાયો છે.જેના પગલે સંબંધિત વિસ્તારને કોલેરા રોગગ્રસ્ત અને તેની આજુબાજુના બે કિ.મી.નો વિસ્તાર કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર જાહેર કરાયો હોવાનુ જાહેરનામુ જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યુ છે. લાખાબાવળ પંથકની ત્રણ વર્ષીય બાળા કોલેરા પોઝીટીવ હોવાનુ જાહેર થયુ હતુ.બીજી બાજુ જિલ્લા આરોગ્ય વિભાગની જુદી જુદી 13 ટીમ દ્વારા સઘન સર્વે સહિતની આરોગ્ય વિષયક કામગીરી ત્વરીત શરૂ કરી દેવાઇ છે. જાહેરનામા મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી- જામનગર તરફથી મળેલી દરખાસ્ત અન્વયે જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાંથી કોલેરાનો પ્રોઝિટીવ કેસ નોંધાયેલ હોવાથી કોલેરા રોગનો ફેલાવો થતો અટકાવવા માટે અને તાત્કાલિક પગલા લેવા માટે એપેડેમીક ડીસીઝ એકટ 1897ની કલમ 3 અન્વયે લાખાબાવળ ગામને કોલેરા રોગગ્રસ્ત વિસ્તાર તરીકે અને તેની આસપાસના 2 કી.મી.ના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જિ. પં.ની આરોગ્ય શાખાની 16 ટુકડીઓ દ્વારા સતત બીજા દિવસે પણ લાખાબાવળ ગામમાં આરોગ્ય વિષયક સઘન પગલા યથાવત રખાયા હતા જેમાં 16 ટીમ દ્વારા સંબંધિત વિસ્તારના લગભગ 787 ઘરોનો સર્વે કરાયો હતો.જેમાં અંદાજે સાડા ચાર હજાર જેટલી વસ્તીને આવરી લેવાઇ છે. જે સાથે 1720 કલોરીન ટેબલેટનુ વિતરણ કરાયુ હતુ. કોલેરા, શહેર બાદ ગ્રામ્યમાં પહોંચ્યો શહેરના ધરારનગર-1 વિસ્તારમાં દોઢ સપ્તાહ પુર્વે કોલેરા પોઝીટીવ કેસો સામે આવ્યા હતા જે સાથે શહેરમાં જ પોઝીટીવનો આંક 22 પર પહોચ્યો હતો.જે બાદ નાઘેડી અને હવે લાખાબાવળ પંથકમાં વધુ એક બાળકી પોઝીટીવ જાહેર થયાનુ સામે આવતા આંક બે ડઝન થયો હતો.જોકે,સમયાંતરે તમામ ડીસ્ચાર્જ થયા હતા. હાલ એકમાત્ર બાળકી સારવાર હેઠળ હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ.
વીજબીલ ભરવામાં ગ્રાહકોને દુવિધા:વીજબીલમાં ગોટાળા છેલ્લી તા.30 ફેબ્રુઆરી
જામનગરમાં પીજીવીસીએલ દ્વારા જારી કરાયેલા વિજ બિલમાં “બિલ ભરવાની છેલ્લી તારીખ 30 ફેબ્રુઆરી” દર્શાવાતા ગ્રાહકોમાં આશ્ચર્ય અને રોષ ફેલાયો છે. સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં 28 અથવા લિપ યર હોય તો 29 દિવસ જ હોય છે, ત્યારે 30 ફેબ્રુઆરી જેવી અસ્તિત્વમાં જ ન હોય તેવી તારીખ દર્શાવવી, તંત્રએ ઘોર બેદરકારી દાખવી છે. એક વિજ ગ્રાહકે બિલમાં દર્શાવેલી તારીખ અંગે તંત્રને પૂછપરછ કરતા જવાબદાર અધિકારીઓએ યોગ્ય સ્પષ્ટતા આપવાને બદલે ઉડાવ જવાબ આપીને મામલો દબાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. હાલ વીજતંત્રની ભુલના કારણે ગ્રાહકો વીજબિલ ભરવા માટે મુશ્કેલીમાં મુકાયા છે. જો ગ્રાહક સમયસર બિલ ન ભરે તો દંડ અને કનેક્શન કપાત જેવી કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે તંત્રની આવી ભૂલ ગંભીર ગણાય, અને નાગરિકોએ માંગ કરી છે કે પીજીવીસીએલ તાત્કાલિક ભૂલ સુધારી સ્પષ્ટતા આપે અને જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
જામનગરના આંગણે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (VYO) દ્વારા લાલપુર રોડ પાસે આવેલા વ્રજધામ હવેલીના પટાંગણમાં ભવ્યાતિભવ્ય હોલી રસિયા અને ફૂલ-ફાગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વૈષ્ણવાચાર્ય પૂ. પા. ગો. 108 વ્રજરાજકુમાર મહોદયના સાન્નિધ્યમાં યોજાયેલા આ દિવ્ય મહોત્સવમાં જામનગરના હજારો વૈષ્ણવ ભક્તો ઉમટી પડ્યા હતા. પુષ્ટિમાર્ગીય સંપ્રદાયની પરંપરા અનુસાર ભક્તો પ્રભુ ભક્તિમાં સંપૂર્ણપણે લીન થઈને હોલીના રસિયાના નાચગાન વચ્ચે રંગબેરંગી વિવિધ ફૂલોની વર્ષા કરી એકબીજા સાથે ફૂલ-ફાગ રમવા ઘેલા બન્યા હતા અને સંગ ફૂલ ફાગ ઉત્સવ અંતર્ગત આ અલૌકિક ઉત્સવનો અનેરો લ્હાવો લીધો હતો. આ ભક્તિમય કાર્યક્રમ દરમિયાન જેજે વ્રજરાજકુમાર મહોદય ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના આશીર્વચન પાઠવ્યા હતા. તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, VYO જામનગર દ્વારા પ્રતિવર્ષના ક્રમ અનુસાર આ વર્ષે પણ આટલા મોટા હોલી રસિયા ફૂલ-ફાગ ઉત્સવનું આયોજન થયું છે. વધુમાં તેમણે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે, આ જગ્યા પર VYO દ્વારા ટૂંક સમયમાં જ એક વિશાળ અને ભવ્ય વીવાયઓ વ્રજધામ હવેલીનું નિર્માણ કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે. આ હવેલીમાં સાક્ષાત ભગવાન શ્રીનાથજી બિરાજમાન થશે. આ સંકુલ માત્ર દર્શન પૂરતું સીમિત નહીં રહે, પરંતુ તેમાં સત્સંગ હોલ, બાળકો માટે અત્યાધુનિક પ્રી-સ્કૂલ, જ્ઞાનવર્ધક લાયબ્રેરી, ગેસ્ટહાઉસ અને અન્ય વિવિધ સામાજિક, ધાર્મિક પ્રવૃત્તિઓને સાકાર કરવામાં આવશે. આજે જામનગરમાં 400થી વધુ બાળકો VYO દ્વારા એજ્યુકેશન મેળવી રહ્યા છે, જ્યાં તેમને હિન્દુ ધર્મ અને ઉચ્ચ ભારતીય સંસ્કારોથી સિંચિત કરાઇ રહ્યા છે. મહોત્સવમાં દેશ-વિદેશથી અનેક મહાનુભવો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ હોલી રસિયા અને ફૂલ-ફાગ ઉત્સવને સફળ બનાવવા માટે મુખ્ય દાતા તરીકે ગંગાસ્વરૂપ શારદાબેન રમેશભાઈ દોંગા, રૂચિરભાઈ રમેશભાઈ દોંગા અને તેમના પત્ની નિરલબેને સહયોગ આપ્યો હતો. VYO જામનગરના પ્રમુખ દીપકભાઈ વૈષ્ણવ, સહ-પ્રભારી આર.પી. ઘાડિયાના માર્ગદર્શન હેઠળ આરતીબેન હીરપરા, કેવલભાઈ ગુસાણી, પ્રીતિબેન પટેલ અને ક્રિષ્ના સંસ્કાર વર્લ્ડના સક્રિય સભ્ય અરજણભાઈ સોજીત્રા સહિતના કાર્યકર્તાઓએ આયોજનમાં અવિરત સેવાઓ આપી હતી.
શૈક્ષણિક પ્રવાસ યોજાયો:વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત ડી. કે. વી. કોલેજ દ્વારા શૈક્ષણિક પ્રવાસ
રાજકોટમાં મારવાડી યુનિવર્સિટીમાં તા. 12 થી 15 જાન્યુઆરી 2026 દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત રીજીઓનલ એકઝીબીશન (કચ્છ અને સૌરાષ્ટ્ર)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તા. 13ના જામનગરથી ડી. કે. વી.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ના પ્રિ. ડૉ.પી. વી. બાણગગોરીયાનાં માર્ગદર્શન હેઠળ કોલેજના 154 વિદ્યાર્થીઓ અને 11 અધ્યાપકોએ એકઝીબીશનની મુલાકાત લઇ આધુનિક ઉદ્યોગ જગતની જાણકારી મેળવી હતી. આ ઉપરાંત જુદા-જુદા વિશાળ 6 ડોમમાં ટેકનોલોજીની સાથે સાથે પરંપરાગત ઉદ્યોગોનો પણ ડોમ હોવાથી આ પ્રકારના એકઝીબીશન વિદ્યાર્થીઓને ભવિષ્યમાં વ્યવસાય કે નોકરી મેળવવામાં ઉપયોગી બનશે. નોડલ ઓફિસર તરીકે પ્રા.ડો. એચ એમ. વ્યાસ રહ્યા હતાં.
ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું:પેન્સિલ, એક્રેલિક સહિતના આર્ટવર્ક શહેરીજનોએ નિહાળ્યા
જામનગરમાં પૂર્વી પરીખના ચિત્ર પ્રદર્શન તા. 14 થી 15 ફેબ્રુઆરીના રામકૃષ્ણ વિવેકાનંદ સેન્ટરમાં સવારે 10 થી 1 અને બપોરે 4 થી 7 સુધી નિ:શુલ્ક શહેરીજનો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જેનું ઉદ્ઘાટન પૂર્વ મેયર તથા રાષ્ટ્રીય કારોબારીના સભ્ય અમીબેન પરીખ દ્વારા તા. 14ના કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડો જોશી-પ્રમુખ રામકૃષ્ણ વિવેકાનંદ ટ્રસ્ટ, આનંદ શાહ-સિનિયર વૉટર કલર આર્ટિસ્ટ તથા સંજય જાની-અનુભૂતિ ગ્રુપ, જયેશભાઇ વાઘેલા-એનડીસી તથા અશોકભાઈ જાની-ભુજના સિનિયર આર્ટિસ્ટ વિશેષ હાજર રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમમાં રાહુલભાઈ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હત અને પ્રદર્શનમાં પેન્સિલ, એક્રેલિક અને ઓઇલ પેન્ટિંગ તથા મિક્ષ મીડિયામાં પોરટ્રેટ, મોડર્ન આર્ટ તેમજ લેન્ડસ્કેપ સહીત વિવિધ આર્ટવર્ક જોવા મળ્યા હતાં.
આપ સૌ જાણો છો કે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થવાને કારણે TB રોગ થવાની સંભાવના વધી જાય છે. જો સમયસર TB ની દવા અને પૂરતા પ્રમાણમાં પ્રોટિન અને વિટામિન મળે તો TB રોગ નાબૂદ વહેલી તકે થઈ શકે તેમ છે. તેથી જિલ્લામાં નામાંકિત નયારા એનર્જી દ્વારા જરૂરીયાતમંદ ટીબી ના દર્દીઓને સહ પ્રમાણસર પોસણ મળી રહે તેવા શુભહેતુથી નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવેલ પોષણયુક્ત રાશન કીટનું જામનગર જિલ્લાના જોડિયા તાલુકા ખાતે જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારી ડો. પંકજ કુમાર જીલ્લા ક્ષય મેડીકલ ઓફિસર ડો.પીઠડીયા તથા તાલુકા હેલ્થ ઓફિસર ડો.સંજય સોમૈયાના માર્ગદર્શન હેઠળ TBની સારવાર હેઠળના દર્દીઓને નયારા એનર્જી દ્વારા પોષણ કીટ વિતરણ કરાઈ હતી. જેથી દર્દીઓને સમયસર પૂરતું પોષણ મળી શકે. તે માટે આ કાર્યક્રમમાં જોડિયા તાલુકાના TB સુપરવાઈઝર નિકુંજભાઈ પાગડાર અને પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર આશાબેન પુંભડીયા હાજર રહ્યા હતા. આ વેળાએ ટીબી ના દર્દીઓને ટીબી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આ કિટમા બાસમતી ચોખા, મલ્ટીગ્રેન આટા, મગની દાળ, દેશી ચણા, મગફળીનું તેલ, ગોળ અને ઘી જેવી બ્રાન્ડેડ વસ્તુની રાશન કિટ તૈયાર કરીને દર્દીઓને વિતરણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એસ.ઈ.ટી. સાયન્સ કોલેજ અને પી.જી. સેન્ટર, જૂનાગઢ ખાતે 20 અને 21 ફેબ્રુઆરી 2026 દરમિયાન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટેનું બાયોટેકનોલોજી અને જીવન વિજ્ઞાનમાં ઉભરતા સીમાં વિષય પર પ્રથમવાર રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી (DBT) ના અનુદાનથી યોજાયેલ આ કાર્યક્રમ જૂનાગઢ માટે સિદ્ધિ સમાન છે. કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે સંસ્થાના પ્રમુખ નટુભાઈ ભાટુ અને ટ્રસ્ટીઓએ હાજર રહી આ પ્રયાસને બિરદાવ્યો હતો. ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. પ્રતાપસિંહ ચૌહાણના સંદેશા દ્વારા આધુનિક યુગમાં સંશોધનની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. બે દિવસીય આ પરિષદમાં CSMCRI, JAU અને BKNMU જેવી સંસ્થાઓના તજજ્ઞો જેવા કે ડૉ. મંગળસિંહ રાઠોડ, ડૉ. એચ.પી. ગજેરા અને ડૉ. સુહાસ વ્યાસ દ્વારા સ્માર્ટ કૃષિ, કેન્સર સેલ મેટાબોલિઝમ અને બાયોફ્યુઅલ જેવા વિષયો પર વ્યાખ્યાનો અપાયા છે. આ કોન્ફરન્સમાં દેશભરમાંથી 353 જેટલા રજીસ્ટ્રેશન નોંધાયા હતા, જેમાં રિસર્ચ સ્કોલર્સ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રિન્સિપાલ ડૉ. હાર્દિક ભટ્ટ અને સમગ્ર સ્ટાફની મહેનતથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો. આ આયોજનને બેન્ક ઓફ બરોડા અને સ્વર્ણિમ ઇન્સ્ટિટ્યૂટ જેવી સંસ્થાઓએ પણ સહયોગ આપ્યો હતો.
રમતગમત:ડૉ. સુભાષ પી.ટી.સી. કોલેજમાં શૌર્ય વંદના છત્રપતિ શિવાજી ખેલ મહાકુંભ યોજાયો
ડૉ. સુભાષ અધ્યાપન મંદિર દ્વારા તાજેતરમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે શૌર્ય વંદના ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદઘાટન કેમ્પસ ડાયરેક્ટર કિશોરભાઈ રાઠોડ અને આચાર્ય નિકુંજભાઈ રાવલના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરાયું હતું. આ કાર્યક્રમમાં કિશોરભાઈએ શિવાજી મહારાજના શૌર્ય અને રાષ્ટ્રપ્રેમ વિશે વક્તવ્ય આપ્યું હતું. આ આયોજનનો હેતુ આજની પેઢીમાં વિદેશી સંસ્કૃતિના પ્રભાવ સામે રાષ્ટ્રભક્તિ જગાડવાનો અને શારીરિક સ્વાસ્થ્ય જાળવવાનો હતો. ખેલ મહાકુંભમાં કબડ્ડી, ખો-ખો, રસ્સાખેંચ, અને બુદ્ધિવર્ધક પરંપરાગત રમતોમાં તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. વિજેતાઓને પ્રમાણપત્ર આપી નવાજવામાં આવ્યા હતા. સંસ્થાના પ્રમુખ જવાહરભાઈ ચાવડા અને બી.એડ. કોલેજના આચાર્ય ડૉ. કમલેશભાઈ પરમારે સમગ્ર ટીમની પહેલને બિરદાવી હતી.
ખનીજ માફિયાઓ બન્યા નિરંકુશ:માંગરોળના દિવાસામાં ખનિજની રેડ, અન્ય જગ્યાએ બેફામ ખનીજ ચોરી
માંગરોળ તાલુકાના દિવાસા ગામેથી જે રીતે 32 ચકરડી મશીન અને વાહનોનો જથ્થો ઝડપાયો છે, તે સાબિત કરે છે કે આ વિસ્તારમાં લાંબા સમયથી મોટા પાયે ગેરકાયદેસર ખનનનું નેટવર્ક ફૂલ્યું-ફાલ્યું હતું. જ્યારે આટલી મોટી સંખ્યામાં મશીનરી રાત-દિવસ ચાલતી હતી, ત્યારે સ્થાનિક તંત્ર અને ખાણ-ખનિજ વિભાગ અત્યાર સુધી શું કરી રહ્યું હતું. ભૂસ્તરશાસ્ત્રી અને ફ્લાઈંગ સ્ક્વોર્ડની સંયુક્ત ટીમે ભલે 9 ખાણકામ વિસ્તારો સીલ કર્યા હોય, દિવાસા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં થતા આવા બેફામ ખનનથી ભૂગર્ભ જળના સ્તર નીચે ગયા છે અને સ્થાનિક ખેતીને પણ માઠી અસર પહોંચી છે. માંગરોળ મરીન પોલીસ અને ગ્રામ પંચાયતની કસ્ટડીમાં વાહનો સોંપીને તંત્રએ સંતોષ માની લીધો છે.
ભાસ્કર વિશેષ:બોર્ડની પરીક્ષામાં 101 છાત્રોને રાઇટર મળશે
જૂનાગઢ સહિત રાજ્યભરમાં તારીખ 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરૂ થનાર છે. પરીક્ષામાં જે દિવ્યાંગ બાળકોને રાઇટરની જરૂર હોય તેના માટે શિક્ષણાધિકારી કચેરી, બહુમાળી ભવન ખાતે કેમ્પનુ આયોજન કરાયુ હતુ. જેમાં ધોરણ 10માં 67 અને ધોરણ 12માં 34 છાત્રોએ અરજી કરી હતી. એટલે કે બોર્ડની પરીક્ષામાં જિલ્લામાં 101 વિદ્યાર્થીઓને રાઇટરની ફાળવણી થઇ છે. શિક્ષણાધિકારી લત્તાબેન ઉપાધ્યાયે જણાવ્યુ કે, આગામી તારીખ 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા શરૂ થનાર છે.જેમાં જે વિદ્યાર્થીને રાઇટરની જરૂર હોય તેના માટે શનિવારે તાલુકા મુજબ કેમ્પનુ આયોજન કરાયુ હતુ. જેમાં સવારે 10:30થી 12:30 કેશોદ,માંગરોળ, માળીયા, બપોરે 12:30થી 2:30 વિસાવદર- ભેંસાણ-મેંદર ડા- માણાવદર, બપોરે 3:30 થી 5:30 જૂનાગઢ (સીટી-ગ્રામ્ય), વંથલી માટે આયોજન કરાયુ હતુ. જેમાં ધોરણ 10 અને 12ના મળી કુલ 101 છાત્રોએ અરજી કરી જેને મંજૂરી મળી છે. બાકી રહેલા સોમવાર સુધીમાં કરી શકશે કેમ્પમાં કોઇ કારણોસર રાઇટરની જરૂરીયાત વાળા વિદ્યાર્થી પહોંચી શક્યા ન હોય તેના માટે હજુ એક દિવસનો સમયગાળો રખાયો છે. જેમાં તારીખ 23 ફેબ્રુઆરીને સોમવારે શિક્ષણાધિકારી કચેરી, બહુમાળી ભવન ખાતે અરજી કરીને રાઇટર મેળવી શકશે એમ જણાવ્યુ છે.
વેધર રિપોર્ટ:મહત્તમ તાપમાન 35 ડિગ્રીને પાર, સવારે 18.4 નોંધાયું
છેલ્લા ત્રણ દિવસથી જૂનાગઢ સહિત સોરઠમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે જેના પગલે શનિવારે મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રી અને પાર થઈ ગયો હતો. શુક્રવારે જુનાગઢનું લઘુત્તમ તાપમાન 17.6 ડિગ્રી રહ્યા બાદ શનિવારની સવારે સામાન્ય વધારા સાથે લઘુતમ તાપમાન 18.4 ડિગ્રી નોંધાયું હતું જેની સાથે 24 કલાકમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને 75 ટકાએ પહોંચી જતા સવારે એકંદરે ઠંડક અનુભવાઈ હતી. પરંતુ બપોર થતાની સાથે જ આકાશમાંથી અગ્નિવર્ષા શરૂ થઈ જતા મહત્તમ તાપમાન વધીને 35.7 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. બપોરની હવામાં ભેજનું પ્રમાણ 20 ટકા યથાવત રહ્યું હતું. જ્યારે દિવસ દરમિયાન 4.6 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો.
જૂનાગઢની પ્રતિષ્ઠિત પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટમાં અત્યારે શિક્ષણ કે સેવા નહીં, પણ સત્તા કબજે કરવાની ખેંચતાણ ચરમસીમાએ પહોંચી છે. તાજેતરમાં મૃત્યુ પામેલા એક ટ્રસ્ટીની ખાલી પડેલી જગ્યા ભરવા માટે યોજાયેલી મિટિંગ અખાડામાં ફેરવાઈ ગઈ હતી. ટ્રસ્ટમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે રાજકીય અને સામાજિક મોરચે લોબિંગ તેજ બન્યું છે. ધારાસભ્ય સંજય કોરડીયા અને પાટીદાર અગ્રણી ભાવિન છત્રાળા વચ્ચે સીધો જંગ ખેલાયો હતો. આશ્ચર્યની વાત એ છે કે, પ્રતિષ્ઠિત ગણાતા આ ટ્રસ્ટમાં ટ્રસ્ટીની વરણી માટે મતદાન કરવાની નોબત આવી હતી. રસાકસી એટલી તીવ્ર હતી કે બંને ઉમેદવારોને 5-5 વોટ મળતા મામલો અધ્ધરતાલ થઈ ગયો છે. સમાન મતો મળવાને કારણે આખરે નિર્ણય લઈ શકાયો નહોતો અને મિટિંગ મુલતવી રાખવાની ફરજ પડી હતી. હવે આગામી બેઠકમાં ફરીથી વોટિંગ થશે, જે સ્પષ્ટ કરે છે કે ટ્રસ્ટમાં જૂથવાદ કેટલો ઊંડો ઉતરી ગયો છે. મિનિટ્સ બુકના મુદ્દે ટ્રસ્ટીનો હોબાળો, ભારે રકઝક બાદ ઝેરોક્ષ પધરાવી દીધી ટ્રસ્ટીની મિટિંગમાં માત્ર વરણી મુદ્દે જ નહીં, પણ વહીવટી પારદર્શકતા મુદ્દે પણ ભડકો થયો હતો. એક ટ્રસ્ટીએ જ્યારે જૂની મિનિટ્સ બુક જોવાની માંગ કરી, ત્યારે ટ્રસ્ટના સત્તાધીશોના પેટમાં તેલ રેડાયું હતું. મિનિટ્સ બુક વાંચવા ન આપવા મુદ્દે કલાકો સુધી દલીલો અને રગઝગ ચાલી હતી. આખરે દબાણ વધતા ઝેરોક્ષ કોપી આપવામાં આવી હતી, પરંતુ તેમાં પણ અનેક વિસંગતતાઓ જણાતા ટ્રસ્ટીએ ઉગ્ર વાંધો ઉઠાવ્યો હતો. ઉપરાંત રાજકોટના ટ્રસ્ટી વાછાણીએ રાજીનામુ આપ્યુ હતુ આ રાજીનામાની સત્તા ચેરીટી કમિશનરને સોંપવામાં આવી છે. જેથી તે નિર્ણય લેશે. આગામી બોર્ડ મિટીંગમાં નવા ટ્રસ્ટીની નિમણુંક થશે.
ભાસ્કર એક્સક્લૂઝિવ:જૂનાગઢનું રેલવે ઇન્સ્ટિટ્યૂટ ખંડેર, ભાવનગરમાં નવાનું ઉદઘાટન !
જૂનાગઢમાં આવેલા રેલ્વે ઇન્સ્ટિટયૂટને ખંડેર હાલતમાં જ રહેવા દઈને ભાવનગરમાં નવા ઇન્સ્ટિટ્યૂટનું ઉદઘાટન કરનારા રેલવે તંત્રએ વધુ એક વાર જૂનાગઢને ઓરમાયાપણાનો અહેસાસ કરાવ્યો છે. ભાવનગરમાં ટોકન દરે જે રમતો શરૂ કરવામાં આવી છે એ સઘળી રમતો અહીં પણ સામાન્ય દરે રમાતી જ હતી. હવે પડીને પાદર થઈ ગયેલા જૂનાગઢના ઇન્સ્ટિટયૂટની કોઈ દરકાર લેવાતી નથી, એના બદલે કરોડોના ખર્ચે ભાવનગરમાં નવું ઇન્સ્ટિટ્યૂટ ઉભું કરાયું છે. ભાવનગર રેલવે મંડળના સિનિયર રેલવે ઇન્સ્ટિટ્યૂટ, ભાવનગર પરાનું ઉદ્ઘાટન મંડળ રેલ મેનેજર દિનેશ વર્માના દ્વારા તાજેતરમાં સંપન્ન થયું હતું. વર્ષોથી બંધ રહેલા જૂનાગઢના ઇન્સ્ટિટ્યૂટને ધ્યાનમાં લીધા વિના ભાવનગરમાં આ નવું ઇન્સ્ટિટયૂટ ઊભું કરાયું હતું. આ તબક્કે ભાવનગર રેલવે મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, સિનિયર રેલવે ઇન્સ્ટિટ્યૂટના નવનિર્મિત ભવનમાં રેલવે કર્મચારીઓ તથા તેમના પરિવારજનો માટે રમતો અને મનોરંજનની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઇન્સ્ટિટ્યૂટની વાર્ષિક સભ્યતા ફી માત્ર 25 નક્કી કરવામાં આવી છે. સભ્યતા મેળવનારા રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનો ઇન્ડોર રમતો જેમ કે બેડમિન્ટન, ટેબલ ટેનિસ, કેરમ તેમજ આઉટડોર રમતો જેમ કે વોલીબોલ અને બાસ્કેટ બોલનો લાભ લઈ શકશે. આ અવસરે સિનિયર રેલવે ઇન્સ્ટિટ્યૂટના પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જૂનાગઢમાં રેલવે ઇન્સ્ટિટ્યૂટ વર્ષોથી બંધ હાલતમાં છે, અહીં પણ ખૂબ જ નજીવા દરે આ બધી રમતો રમતી હતી. જૂનાગઢના આ ઇન્સ્ટિટયૂટની રેલવે તંત્ર દ્વારા કોઇ સરકાર કરાતી નથી. જૂનાગઢ રેલવે ઇન્સ્ટિટયૂટ રિપેર કરવાના બદલે પાડવાની રજૂઆતો !જૂનાગઢમાં આવેલું રેલવે ઇન્સ્ટિટયૂટ રીપેર કરીને ફરીથી શરૂ કરાવવું જોઈએ, જેનાથી અહીંયા પણ કર્મચારીઓ તેનું લાભ લઈ શકે. જોકે, આ ક્યારે શરૂ થવાનું છે અને શરૂ પણ થવાનું છે કે નહીં એની રેલવે અધિકારીઓને જ ખબર નથી. જૂનાગઢના અધિકારીઓ આને પાડવાની રજૂઆત કરી રહ્યા છે, પણ તેને રિપેર કરવાનો કોઈ પ્લાન કર્યો નથી.
વીજચોરો સામે કડક કાર્યવાહી:પશ્ચિમ કચ્છમાં PGVCLએ 6 દિવસમાં અધધ 1.71 કરોડની વીજચોરી ઝડપી
પશ્ચિમ કચ્છમાં વીજચોરી કરતા તત્વો સામે PGVCL (પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ) દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. પશ્ચિમ કચ્છ ભુજ વર્તુળ કચેરી હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં વ્યાપક વીજચેકિંગ ઝુંબેશ હાથ ધરીને લાખો રૂપિયાની વીજચોરી પકડી પાડવામાં આવી છે. ગત 16/02/2026 થી 21/02/2026 દરમિયાન ચાલેલી આ ઝુંબેશમાં તંત્રએ કડક કાર્યવાહી કરી છે. PGVCL દ્વારા આ ખાસ ઝુંબેશ માટે કુલ 29 જેટલી વીજચેકિંગ ટીમોની રચના કરવામાં આવી હતી. આ ટીમોએ ભુજ શહેર, ભુજ ગ્રામ્ય, કુકમા, મુન્દ્રા, માંડવી, નખત્રાણા, દયાપર, કોઠારા, ખાવડા, દેશલપર અને ભુજોડી જેવા પેટા વિભાગીય વિસ્તારોમાં ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન ઘરવપરાશ, વાણિજ્ય (કોમર્શિયલ), ઔદ્યોગિક અને ખેતીવાડી એમ તમામ પ્રકારના કુલ 3,447 વીજ જોડાણોની બારીકાઈથી ચકાસણી કરવામાં આવી હતી. સતત 6 દિવસ સુધી ચાલેલા આ મેગા ઓપરેશનમાં કુલ 288 વીજ જોડાણોમાં જુદા જુદા પ્રકારની ગેરરીતિઓ માલૂમ પડી હતી. ક્યાંક ડાયરેક્ટ લાઈન દ્વારા તો ક્યાંક મીટર સાથે ચેડાં કરીને વીજચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. આ તમામ ગેરરીતિ બદલ PGVCL દ્વારા કુલ 171.06 લાખની રકમના આકરા બિલ ફટકારવામાં આવ્યા છે. તંત્રની આ આકરી કાર્યવાહીથી વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રામાણિક ગ્રાહકોને પૂરતો વોલ્ટેજ અને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહે તે માટે આગામી સમયમાં પણ આ પ્રકારની આકસ્મિક ચેકિંગ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. જે લોકો ગેરકાયદેસર રીતે વીજળીનો વપરાશ કરે છે તેમની સામે કાયદેસરની પોલીસ ફરિયાદ પણ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવશે.
સામાજિક સેવામાં અગ્રેસર રહેલા રામકૃષ્ણ એક્સપોર્ટ્સ (SRK) ગ્રૂપ દ્વારા આયોજિત ‘પ્યોર વિવાહ - સમૂહ લગ્નોત્સવ 2026’ શનિવારે મોટા વરાછામાં ભવ્ય રીતે સંપન્ન થયો. SRK નોલેજ ફાઉન્ડેશન અને રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટના ઉપક્રમે યોજાયેલા આ 12મા મહોત્સવમાં 75 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ પ્રસંગે હજારો મહેમાનોની હાજરીમાં દીકરીઓને આશીર્વાદ આપી નવો સંસાર શરૂ કરાવવામાં આવ્યો હતો. આ સમૂહ લગ્નોત્સવની સૌથી મોટી વિશેષતા દીકરીઓને આપવામાં આવેલી ઘરવખરી રહી હતી. SRK પરિવાર દ્વારા દરેક નવવધૂને 3 લાખથી પણ વધુની કિંમતની વસ્તુઓ કરિયાવરમાં ભેટ આપવામાં આવી હતી. આ આર્થિક મદદ પાછળનો હેતુ એ છે કે નવદંપતિઓને પોતાનો નવો સંસાર શરૂ કરવામાં કોઈ આર્થિક મુશ્કેલી ન નડે. ગુણવત્તાયુક્ત ઘરવખરી અને જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ જોઈને વાલીઓના ચહેરા પર સંતોષની લાગણી જોવા મળી હતી. 12 વર્ષમાં 1000થી વધુ યુગલોના લગ્નનો રેકોર્ડવર્ષ 2015થી શરૂ કરાયેલ ‘પ્યોર વિવાહ’ શ્રેણી હવે એક વિશાળ અભિયાન બની ચુકી છે. આ 12મા સમારોહ સાથે અત્યાર સુધીમાં કુલ 1000થી વધુ યુગલોના લગ્ન આ મંચ પરથી સંપન્ન થયા છે. સુરતમાં સામાજિક જવાબદારીનું આ એક અદ્ભુત ઉદાહરણ છે, જ્યાં દીકરીઓના લગ્ન પ્રસંગને માત્ર એક વિધિ નહીં પણ ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે પણ 15,000થી વધુ લોકો આ ભવ્ય મહોત્સવના સાક્ષી બન્યા હતા. પરિવારની દીકરી માનીને સમૂહ લગ્નોત્સવની સંકલ્પનાઆ ભવ્ય આયોજન પાછળ SRK અને SRKKFના ફાઉન્ડર ચેરમેન એમીરીટસ ગોવિંદભાઈ ધોળકિયાની પ્રેરણા રહેલી છે. તેઓ દ્રઢપણે માને છે કે સંપત્તિનો સાચો ઉપયોગ એ જ છે કે જે તમારી આસપાસના જરૂરિયાતમંદ લોકોના કામમાં આવે. તેઓ દરેક દીકરીને પોતાના જ પરિવારની દીકરી માને છે અને આ જ ભાવનાથી તેમણે આ સમૂહ લગ્નોત્સવની સંકલ્પના તૈયાર કરી છે, જેથી દીકરીઓ આત્મસન્માન સાથે સાસરે વળાવી શકાય. કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય મહેમાનોની હાજરીઆ મંગલમય અવસરે કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ અને ભારતના કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલ ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાતના રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મુખ્ય મહેમાન તરીકે હાજર રહી નવદંપતિઓને શુભકામનાઓ પાઠવી હતી. સુરતના મેયર દક્ષેશ માવાણી, કલેક્ટર સૌરભ પારધી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત અનેક મહાનુભાવોએ આ સામાજિક કાર્યમાં પોતાની હાજરી નોંધાવી હતી. નવદંપતિએ લગ્ન ગ્રંથિથી જોડાઈને નવા જીવનના શ્રીગણેશ કર્યાસમગ્ર લગ્નોત્સવ દરમિયાન પરંપરા જળવાઈ રહે તે રીતે તમામ વિધિઓ સંપન્ન કરવામાં આવી હતી. જાન આગમનથી લઈને હસ્તમેળાપ અને આશીર્વચન સમારોહ સુધીની દરેક ક્ષણ આનંદમય રહી હતી. 15,000 લોકો માટે ભવ્ય ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. શાસ્ત્રોક્ત વિધિ મુજબ થયેલા આ લગ્નોત્સવમાં દરેક નવદંપતિએ શિસ્ત અને ભક્તિ સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈને નવા જીવનના શ્રીગણેશ કર્યા હતા. કન્યા વિદાયના ભાવુક દૃશ્યો અને આશીર્વાદસમારોહના અંતે જ્યારે કન્યા વિદાયનો સમય આવ્યો ત્યારે વાતાવરણ ખૂબ જ ભાવુક બની ગયું હતું. હજારોની હાજરીમાં દીકરીઓને વિદાય આપતા વાલીઓની આંખોમાં ખુશીના આંસુ હતા. SRK પરિવારના સભ્યોએ પિતાતુલ્ય હેત વર્ષાવી દરેક દીકરીને સાસરે વળાવી હતી. 3 લાખથી વધુની ઘરવખરી અને ગરિમામય આયોજને સાબિત કર્યું કે સુરતમાં સેવાના મૂલ્યો આજે પણ એટલા જ પ્રબળ છે.
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરના સંસ્કૃતિ કુંજ ખાતે આજથી વસંતોત્સવનો રંગારંગ પ્રારંભ થયો છે. આ મહોત્સવમાં લોકકલાના વિવિધ રંગોની સાથે હસ્તકલા પ્રદર્શન અને વેચાણનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.આ મહોત્સવનો વિધિવત પ્રારંભ ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. સંસ્કૃતિ કુંજમાં લોકકલાના મહાકુંભ વસંતોત્સવ શરૂઆજે ગાંધીનગર સરિતા ઉદ્યાન પાસે આવેલા સંસ્કૃતિ કુંજમાં લોકકલાના મહાકુંભ વસંતોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. આ પ્રસંગે સાંસ્કૃતિક વિભાગ દ્વારા તૈયાર કરાયેલ કેલેન્ડરનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યે જણાવ્યું હતું કે આવા આયોજનોથી સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન મળે છે. અને આપણી સમૃદ્ધ હસ્તકલા તેમજ લોકકલાની પરંપરા જીવંત રહે છે. કલાકાર અરવિંદ વેગડાએ ગીત ગુંજાવતા લોકો ઝૂમી ઊઠ્યાઆ ઉદ્ઘાટન સમારોહમાં જાણીતા કલાકાર અરવિંદ વેગડાએ પોતાની આગવી શૈલીમાં પ્રસ્તુતિ આપી પ્રેક્ષકોમાં ઉત્સાહ ભરી દીધો હતો. મહોત્સવમાં આસામનું બિહુ, મહારાષ્ટ્રની લાવણી, પશ્ચિમ બંગાળનું છાઉ અને હરિયાણાના ફાગ નૃત્ય જેવા વિવિધ રાજ્યોના ભાતીગળ નૃત્યોએ આકર્ષણ જમાવ્યું હતું. આ ઉપરાંત ગુજરાતની અસ્મિતા સમાન સિદ્દીધમાલ અને રાઠવા આદિવાસી નૃત્યોએ પણ સંસ્કૃતિ કુંજને ગજવી મૂક્યું હતું. 2 માર્ચ સુધી જામશે કલાની રમઝટ આ મહોત્સવમાં 500થી વધુ લોકકલાકારો અને હસ્તકલાના કારીગરો ભાગ લઈ રહ્યા છે. હસ્તકલા પ્રદર્શન અને વેચાણના સ્ટોલ્સ પણ મુલાકાતીઓ માટે મુખ્ય કેન્દ્ર બન્યા છે. આગામી 2 માર્ચ સુધી ચાલનારા આ મહોત્સવમાં દરરોજ સાંજે વિવિધ રાજ્યોની સંસ્કૃતિના દર્શન કરાવતા કાર્યક્રમો યોજાશે.
અમદાવાદના એસપી રિંગ રોડ પર ઝુંડાલ નજીક હોટલ હિલલોક પાસે ડિવાઇડર કટ બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે લોકોને ત્રણ કિમી ફરીને જવું પડે છે. નાના ગરનાળામાંથી લોકો ટુ વ્હીલર લઇને પસાર થઈ શકે તે પ્રમાણે ઔડા દ્વારા આયોજન કરવામાં આવ્યું, પરંતુ ફોરવ્હીલરવાળા કોઈને ફરજિયાત ઝુંડાલ સુધી સર્કલ ફરીને આવવું પડે છે. જેના કારણે થઈને આજે ફરીથી ન્યુ ત્રાગડ અને ચાંદખેડાના સ્થાનિકો દ્વારા રેલી યોજી હોટલ હિલલોક પાસે વિરોધ કરવામાં આવ્યો છે. સ્થાનિક લોકો દ્વારા રોડ રોકી વિરોધ કરવામાં આવ્યો છે. બંને તરફ રોડ બંધ કરાયો છે.
BIG BREAKING: ટ્રમ્પનો ટેરિફ બોમ્બ, ગ્લોબલ ટેરિફ 10% થી વધારી 15% કર્યો
Trump Tariff: અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્લોબલ ટ્રેડને લઈ મોટું એલાન કર્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાહેર કર્યું છે કે અમેરિકા તાત્કાલિક પ્રભાવથી દુનિયાભરના દેશો પર લાગુ થયેલા 10 ટકા ટેરિફને વધારીને 15 ટકા કરવા જઈ રહ્યું છે. તેમણે દાવો કર્યો કે ઘણા દેશો દશકોથી અમેરિકાનો ફાયદો ઉઠાવી રહ્યા છે તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા ટ્રમ્પે શુક્રવારે રાત્રે પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ દેશો પર 10% ટેરિફ લગાવવાની વાત કહી હતી.

26 C