ધી ગુજરાત સ્ટેટ કો.ઓ. બેંક લી. અને ધી અમદાવાદ ડિસ્ટ્રિકટ કો.ઓ. બેંક લી.ના સંયુક્ત ઉપક્રમે સહકાર થી સમૃધ્ધિ અન્વયે ચેરમેન અજય પટેલના માર્ગદર્શન હેઠળ, એ.ડી.સી. બેંક, હેડ ઓફીસ ખાતે ભારત સરકારના ઈન્કમટેક્ષ વિભાગ, અમદાવાદ દ્વારા સહકારી બેંકોને સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા અને નિયમનકારી જાગૃતિ લાવવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં 33 જેટલી અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની અર્બન કો.ઓ. બેંકોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આવકવેરા નિયામક, ઈન્ટેલીજન્સ એન્ડ ક્રીમીનલ ઈન્વેસ્ટીગેશન, ગુજરાત, અમદાવાદ, અખિલેન્દ્ર પ્રતાપ યાદવ અને તેમની ટીમ દ્વારા 27 જાન્યુઆરીના રોજ યોજાયેલા સેમિનારમાં વિવિધ બેંકોના સી.ઈ.ઓ. અને ઉચ્ચ અધિકારીઓ માટે નિયમનકારી મુદ્દાઓ જેમ કે, ઈન્કમટેક્ષ સંબંધીત Form 61(B) (FATCA / CRS) કે જે કો-ઓપરેટીવ બેંકોને ફરજિયાતપણે ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટને રીપોર્ટીંગ કરવાનું હોય છે અને તે માટે ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટમાં રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. તે અંગે તથા Form 15(G)/15(H), SFT, કેશ ટ્રાન્ઝેકશન રીપોર્ટ - CTR વિશે જરૂરી માહિતી આપવામાં આવી હતી. રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાના પરિપત્રો અનુસાર દરેક બેંકોને આવકવેરા નિયમો 1962ના નિયમ 114(F) માં Form-60, 61(A), 61(B) અને FATCA/CRS માં સ્થાનિક બેંકોએ અહેવાલ આપવો ફરજિયાત છે. તેને ધ્યાને લઈ ઈન્કમટેક્ષ વિભાગ, અમદાવાદ ધ્વારા એ.ડી.સી. બેંક ખાતે યોજાયેલ સેમિનારમાં આવકવેરા નિયમો-1962 ના નિયમ-114(F) ની વિસ્તૃત સમજૂતી તથા દરેક બેંકોને Form-61(B) માટે નોંધણી કરવા અને રીપોર્ટ ફાઈલ કરવા અંગે જાણકારી આપવામાં આવી હતી. જેનું પાલન કરવાને પગલે આવકવેરા અધિનિયમ-1961ની કલમ 271(F) (A) હેઠળ થતી દંડનીય કાર્યવાહીમાંથી બચી શકાશે. આ સેમિનારમાં આવકવેરા નિયામક, ગુજરાત, અમદાવાદ અખિલેન્દ્રપ્રતાપ યાદવ, આઈ.ટી.ઓ. પ્રિયવદન જે. ડોડીયા, શશીકાંતકુમાર, ટી. જોસેફ અને ઈન્સ્પેકટર રોહિત દહીયા એ હાજર રહી વિસ્તૃત માહિતી આપી હતી.
ગાંધીનગરના સુઘડ વિસ્તારમાં રહેતા અને જાણીતા બિલ્ડરના પુત્ર ઋષભ પટેલના ગુમ થવાના મામલે દુ:ખદ વળાંક આવ્યો છે. ગત 25 જાન્યુઆરીના રોજ રહસ્યમય રીતે ગુમ થયેલા 25 વર્ષીય યુવકની લાશ આજે કડી પોલીસ મથકની હદમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે પટેલ પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઋષભ પટેલના 12 જાન્યુઆરીના રોજ લગ્ન થયા હતા. 25 જાન્યુઆરીએ ઘરેથી નીકળ્યા બાદ યુવક ગુમગાંધીનગરના સુઘડ ખાતે એપોલો હોસ્પિટલ નજીક આવેલા શિખર બંગલોઝમાં રહેતા ઋષભ પ્રવીણભાઈ પટેલ (ઉ.વ. 25) ગત 25 જાન્યુઆરીએ પોતાની સાઈટ પર જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. જે બાદ તે પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રાયપુર ગામની સીમમાં આવેલા બહુચર પાન પાર્લર પાસે ઋષભની ગાડી બિનવારસી મળી આવી હતી. બિનવારસી કારમાંથી મોબાઈલ અને સુસાઈડ નોટ મળીઆ અંગે તેના નાના ભાઈ આર્યન પ્રવીણભાઈ પટેલે 25 જાન્યુઆરીના રોજ ડભોડા પોલીસ સ્ટેશનમાં ગુમ થયા અંગેની જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. જેની બિનવારસી કારમાંથી દાગીના, મોબાઈલ, રોકડ રકમ તેમજ એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેને પગલે પોલીસે જે તે સમયે કેનાલમાં શોધખોળ પણ હાથ ધરી હતી, પરંતુ ઋષભનો ક્યાંય પતો લાગ્યો નહોતો. પાંચ દિવસની શોધખોળના અંતે કડીમાંથી યુવકનો મૃતદેહ મળ્યોપાંચ દિવસની સઘન શોધખોળ બાદ આજે કડી પોલીસ સ્ટેશનની હદમાં એક યુવકનો મૃતદેહ મળ્યો હતો. જેની ઓળખ ઋષભ પટેલ તરીકે કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર ઋષભના પિતા પ્રવીણભાઈ પટેલ જાણીતા બિલ્ડર છે અને ઋષભ પણ પિતા સાથે કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં સંકળાયેલો હતો. ઋષભના લગ્ન 13 દિવસ અગાઉ થયા હતા એટલે કે 12 જાન્યુઆરીના રોજ લગ્ન થયા હતા. 50 લાખની લેતીદેતીમાં કેટલાક શખસોએ માર માર્યોસુસાઈડ નોટમાં 50 લાખની લેતીદેતીમાં તેને કેટલાક શખસોએ માર માર્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજી તરફ કડી પોલીસે ઋષભની હત્યા થઈ છે કે તેણે આત્મહત્યા કરી છે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. જેના રિપોર્ટ બાદ જ મોતનું સાચુ કારણ બહાર આવશે. રાયપુર પાસે ગાડી મળી આવવી અને ત્યાર બાદ કડી વિસ્તારમાં મૃતદેહ મળવો આ બંને ઘટનાઓ વચ્ચે કડીઓ જોડવા પોલીસ સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેઈલ્સની પણ તપાસ કરી રહી છે. આર્યને ફોન કરતા ઋષભે કહ્યું તે સીધો લગ્નપ્રસંગમાં પહોંચશેઋષભના નાના ભાઈ આર્યન પટેલે ગુમ થયાની નોંધાવેલી ફરિયાદ મુજબ, 25 જાન્યુઆરીના રોજ બપોરે 12:30 વાગ્યે ઋષભ કરાઈ ખાતે આવેલી પોતાની કન્સ્ટ્રક્શન સાઈટ પર જવા માટે ઘરેથી નીકળ્યો હતો. સાંજે સાડા ચાર વાગ્યે તેણે તેની કાર સર્વિસમાં આપી હતી તે પરત લેવા જવાની હતી. આર્યને જ્યારે સાંજે ફોન કર્યો ત્યારે ઋષભે જણાવ્યું હતું કે, તે સીધો લગ્નપ્રસંગમાં પહોંચશે. રાયપુર ગામની સીમમાં ક્રેટા કાર અને મોબાઈલ ફોન મળ્યોજોકે સાંજે સાડા છ વાગ્યા બાદ તેનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો અને તે ઘરે પરત ફર્યો નહોતો. બાદમાં તેની શોધખોળ દરમિયાન રાયપુર ગામની સીમમાં આવેલી નર્મદા કેનાલ પાસે બહુચર પાન પાર્લર નજીકથી ઋષભની હ્યુન્ડાઈ ક્રેટા કાર અને મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પાન પાર્લરના સંચાલકની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આગલી રાત્રે આશરે સાડા આઠ વાગ્યે ઋષભ તેની કાર લઈને કેનાલ તરફ જતો જોવા મળ્યો હતો. ઋષભની લાશ મળતા પરિવાર પર આભ ફાટી પડ્યુંબહિયલના તરવૈયાઓ દ્વારા કેનાલમાં સઘન તપાસ કરવા છતાં તે સમયે તેની કોઈ ભાળ મળી નહોતી. ત્યારે આજે કડી પોલીસ મથકની હદમાંથી ઋષભની લાશ મળી આવતા જ તેના પરિવાર પર આભ ફાટી પડ્યું છે.
વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખની ખાલી પડેલી જગ્યા ભરવા માટે પાર્ટી દ્વારા આજે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જિલ્લા ભાજપના પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિને ગુજરાત ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ તરીકે પસંદગી થતાં જિલ્લા પ્રમુખનું પદ ખાલી પડ્યું છે. આ પદ માટે નવા પ્રમુખની પસંદગીની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જિલ્લા ભાજપમાં કોઈ જૂથબંધી નથી આજે જિલ્લા સર્કિટ હાઉસ ખાતે ભાજપના ત્રણ નિરીક્ષકોની ટીમે વડોદરા જિલ્લાના ધારાસભ્યો પાસેથી અભિપ્રાય લીધા છે. આ નિરીક્ષકોમાં શશીકાંત પંડ્યા, વર્ષાબેન દોશી અને રમેશભાઈ દોશીનો સમાવેશ થાય છે. જિલ્લાના ધારાસભ્યોએ જિલ્લા ભાજપ સંગઠનને સાથે રાખીને ચલાવી શકે એવા કાર્યક્ષમ અને સમાવેશી પ્રમુખની પસંદગી કરવાની માંગણી કરી છે. તેમણે ભાર મૂક્યો છે કે, જિલ્લા ભાજપમાં કોઈ જૂથબંધી નથી અને પાર્ટી એકજૂટ રહીને આગળ વધી રહી છે. અમે અમારો અભિપ્રાય આપ્યો છે અને પાર્ટીના નિર્ણયને સ્વીકારીશુંધારાસભ્યોએ કહ્યું કે, જિલ્લા ભાજપ પ્રમુખનું નામ મોવડી મંડળ (પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ) નક્કી કરશે. અમે અમારો અભિપ્રાય આપ્યો છે અને પાર્ટીના નિર્ણયને સ્વીકારીશું. મળતી માહિતી મુજબ આગામી નવ મહિનાના ગાળામાં જિલ્લા ભાજપને નવા પ્રમુખ મળી શકે છે. કેટલાક વર્તુળોમાં ચર્ચા છે કે જાતિ આધારિત સમીકરણોને ધ્યાનમાં રાખીને પસંદગી થઈ શકે છે.
રાજકોટ જામનગર રોડ પર આવેલ એઇમ્સ હોસ્પિટલ ફરી એક વખત ચર્ચામાં આવી છે. આ વખતે હોસ્ટેલમાંથી ભેદી રીતે MBBSમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગુમ થતા એઇમ્સ હોયપિટલ ચર્ચામાં આવી છે. એઇમ્સના સંચાલકો દ્વારા બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પોલીસે મોબાઈલ લોકેશન તેમજ CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે જેમાં છેલ્લું લોકેશન જામનગર હાઇવે પર પરા પીપળીયાનું નોંધાઈ રહ્યું છે આ પછી મોબાઈલ સ્વીચ ઓફ થતા લોકેશન મળેલ નથી. રાજકોટ એઇમ્સ હોસ્પિટલની મેડીકલ કોલેજની હોસ્ટેલ માંથી ગઈકાલે રાત્રે MBBSમા અભ્યાસ કરતો વિદ્યાર્થી રતનકુમાર મેઘવાલ (ઉ.વ.25) ભેદી રીતે ગુમ થઇ જતા સંચાલકો દ્વારા બનાવ અંગે જાણ ગાંધીગ્રામ પોલીસને કરવામાં આવી છે જેને લઇ આજે સવારથી ગાંધીગ્રામ પોલીસ ટિમ એઇમ્સ હોસ્પિટલ ખાતે હોસ્ટેલ તેમજ આસપાસના તમામ CCTV ફૂટેજ આધારે અને મોબાઈલ લોકેશન મેળવવા તપાસ શરૂ કરી છે આ ઉપરાંત તેમની સાથેના વિદ્યાર્થીઓની પુછપરછ તેમજ કોલ ડીટેઇલ સહિતની તપાસ શરૂ કરવામાં આવી છે જેમાં છેલ્લું લોકેશન જામનગર હાઇવે પર પરા પીપળીયાનું નોંધાઈ રહ્યું છે આ પછી મોબાઈલ સ્વીચ ઓફ થતા લોકેશન મળેલ નથી. આ ઉપરાંત પોલીસ દ્વારા હોસ્ટેલમાં વિદ્યાર્થીના રૂમ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે જ્યાંથી પોલીસને કોઈ ચિઠ્ઠી કે અન્ય કોઈ શંકાસ્પદ વસ્તુ મળે છે કે કેમ તે પણ હાલ તપાસ થઇ રહી છે જો કે આ વિદ્યાર્થી ગુમ ક્યાં કારણે થયો એ અંગે સંચાલકો પણ અજાણ છે. ત્યારે વિદ્યાર્થીના ભેદી રીતે ગુમ થવા ઘટનામાં શું સામે આવશે તે જોવું મહત્વનું રહેશે.
સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે 27 જાન્યુઆરી, 2026ના રોજ રાજ્યસ્તરીય ટેકનોવેશન 2026 સાયન્સ ટુ સિસ્ટમ હેકાથોનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી અને 'વિકસિત ભારત'ના દ્રષ્ટિકોણ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. નિરંજનભાઈ પી. પટેલના અધ્યક્ષસ્થાને આ હેકાથોનનું આયોજન અનુસ્નાતક ઇલેક્ટ્રોનિક વિભાગ, એસ.પી.યુ-એસ.એસ.આઈ.પી-નવધારા, સરદાર પટેલ સ્ટાર્ટઅપ એન્ડ આંત્રપ્રિન્યોરશિપ કાઉન્સિલ, GUJCOST દ્વારા પ્રાયોજિત આણંદ જિલ્લા કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અને ઇન્સ્ટિટ્યુશન ઇનોવેશન કાઉન્સિલ (IIC) દ્વારા કરવામાં આવ્યું હતું. આ હેકાથોનમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી સાયન્સ અને એન્જિનિયરિંગ સંસ્થાઓની કુલ 30 ટીમોના 100થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સહભાગી સંસ્થાઓમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી, ચારુસત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, વિશ્વકર્મા એન્જિનિયરિંગ યુનિવર્સિટી, GCET, BVM, નિરમા યુનિવર્સિટી, સરકારી એન્જિનિયરિંગ કૉલેજ - દાહોદ, GTU, MBIT અને નવયુગ સાયન્સ કૉલેજ, સુરત જેવી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ હેકાથોનમાં નવીનતાની વિચારસરણી માત્ર કોલેજ સ્તર સુધી સીમિત ન રહેતા, ભરૂચની સંસ્કાર વિદ્યાભવન શાળાના ધોરણ 9ના વિદ્યાર્થીઓની એક ટીમે પણ ભાગ લઈને તેમની નવીન ક્ષમતાનો પરિચય આપ્યો હતો. કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે અનુસ્નાતક વિભાગ કોમ્પ્યુટર સાયન્સના ડીન અને સાયન્સ ફેકલ્ટી પ્રો. દર્શન ચોક્સી તથા અતિથિ વિશેષ તરીકે એસ્ટ્રો ફિઝિસિસ્ટ ડૉ. એકતા શાહ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને હિંમતભેર અને રાષ્ટ્રીય સ્તરે વિચારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. સમાપન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે તેજસ વાઘેલા, સિનિયર ડિરેક્ટર અને સીટીઓ - એસએલએસ, સીઓઓ અને ડિરેક્ટર - વર્ડેમોબિલિટી, ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને તેમના પ્રોટોટાઇપ બનાવવા અને વાસ્તવિક દુનિયામાં પ્રવેશવા માટે જરૂરી મદદ આપવા જણાવ્યું હતું. દિવસ દરમિયાન વિવિધ ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓના 8 જ્યુરી સભ્યોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડી મૂલ્યાંકન કર્યું હતું. વિદ્યાર્થીઓએ સમાજ અને ઉદ્યોગની વાસ્તવિક જરૂરિયાતોને સ્પર્શે તેવી 9 મહત્વપૂર્ણ અને ભવિષ્યલક્ષી થીમ્સ પર કાર્ય કર્યું હતું. સ્પર્ધાના અંતે જી.એચ. પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીની 'GECT Innovators' ટીમ, સરદાર પટેલ યુનિવર્સિટીના ફિઝિક્સ વિભાગની 'Pure Flow' ટીમ અને BVMની 'Fault Shield' ટીમ વિજેતા બની હતી. આ કાર્યક્રમ દ્વારા યુવા શક્તિ, ટેકનોલોજી અને રાષ્ટ્રનિર્માણ વચ્ચે મજબૂત જોડાણ સ્થાપિત થયું, જે સરદાર વલ્લભભાઈ પટેલના એકતા અને સામૂહિક શક્તિના વિચારને આજના યુગમાં સાકાર કરે છે.
હિંમતનગરના દેસાસણ ગામે જી-રામજી યોજના અંતર્ગત ગુજરાત સરકારની જનકલ્યાણકારી યોજનાઓને જમીની સ્તરે પહોંચાડવાના હેતુસર એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. આ વર્કશોપ દરમિયાન ધારાસભ્ય વી.ડી. ઝાલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીના મજબૂત નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે ગ્રામ્ય વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. તેમણે ઉમેર્યું કે, જી-રામજી જેવી યોજનાઓ ગામડાંને આત્મનિર્ભર બનાવવાનું એક સશક્ત માધ્યમ છે અને આ યોજનાનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે સરકાર સતત નજર રાખશે. આ કાર્યક્રમમાં હિંમતનગર તાલુકા મંડળ પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, તાલુકા મહામંત્રી ભવરસિંહ ચૌહાણ, ભગીરથસિંહ ઝાલા, બક્ષીપંચ મોરચાના મહામંત્રી જયેશભાઈ બારોટ, આગિયોલના સરપંચ સુજાનભાઈ ગૌસ્વામી, પીપલોદીના સરપંચ વિષ્ણુસિંહ, શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ ચંદનસિંહ રહેવર, પૂર્વ સરપંચ તથા પૂર્વ સદસ્ય અંકિતભાઈ પટેલ, સરપંચ એસોસિએશનના પ્રમુખ નરસિંહભાઈ પટેલ, રાજુભાઈ દેસાઈ, ગામના સરપંચ ભાવિકભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના બામણા ગામે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બામણા માટે રૂ. 40 લાખના ખર્ચે ફાળવવામાં આવેલી 108 એમ્બ્યુલન્સ વાનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં પણ હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.
નવસારી પાલિકામાં કર્મચારીઓ માટે યુનિફોર્મ ફરજિયાત:HOD થી પટાવાળા સુધી 177 કર્મચારીઓને ગણવેશ અપાયા
નવસારી મહાનગરપાલિકા કચેરી દ્વારા વહીવટી પારદર્શિતા અને શિસ્ત લાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત કર્મચારીઓ માટે યુનિફોર્મ નક્કી કરવામાં આવ્યા છે. હવેથી કચેરીના ઉચ્ચ અધિકારીઓ (HOD) થી લઈને પટાવાળા સુધીના તમામ 177 કર્મચારીઓ નિર્ધારિત ગણવેશમાં ફરજ બજાવશે. અત્યાર સુધી મહાનગરપાલિકાના કર્મચારીઓ સિવિલ ડ્રેસમાં કામ કરતા હતા. જાહેર સ્થળોએ અથવા ફિલ્ડમાં ફરજ દરમિયાન નાગરિકો માટે પાલિકાના સ્ટાફને ઓળખવા મુશ્કેલ બનતા હતા. ઓળખના અભાવે ઘણીવાર નાગરિકો અને સ્ટાફ વચ્ચે બોલાચાલી કે ઘર્ષણના કિસ્સાઓ બનતા હતા. યુનિફોર્મ અમલી બનતા કર્મચારીઓની ઓળખ સુનિશ્ચિત થશે અને કામગીરીમાં સરળતા રહેશે. પાલિકા તંત્ર દ્વારા કુલ 177 કર્મચારીઓને યુનિફોર્મની ફાળવણી કરવામાં આવી છે. આ વ્યવસ્થામાં હોદ્દા મુજબ ગણવેશના રંગોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે, જેથી પદની ગરિમા અને ઓળખ જળવાઈ રહે. આ વિતરણમાં, અધિકારી શ્રેણીમાં આવતા 11 HOD (વિભાગીય વડા) ને અલગ ગણવેશ અપાયો છે. ક્લાસ-2 અને અન્ય 145 કર્મચારીઓને પણ અલગ રંગના યુનિફોર્મ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત, 21 પટાવાળા માટે પણ અલાયદા યુનિફોર્મની વ્યવસ્થા કરવામાં આવી છે. આ નવી પહેલથી મહાનગરપાલિકાની કાર્યશૈલીમાં વધુ વ્યાવસાયિકતા આવશે અને કચેરીની શિસ્તબદ્ધ છબી ઊભી થશે. આનાથી નાગરિકો સાથેના વ્યવહારમાં પણ સુધારો જોવા મળશે.
કરમસદ-આણંદમાં 20 દુકાનો તોડી પડાઈ:ટીપી સ્કીમ 1 માં દબાણ હટાવીને ટ્રાફિક સમસ્યા હલ કરાઈ
આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપનાના નિર્દેશ મુજબ, કરમસદ-આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે ટીપી સ્કીમ 1 માં દબાણ હટાવવાની કાર્યવાહી કરી છે. મહાત્મા ગાંધી સર્કલથી ટૂંકી ગલીના નાકા સુધીના રસ્તા પર આવેલી 20 જેટલી દુકાનો તોડી પાડીને રસ્તો પહોળો કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી ટીપી સ્કીમ 1 ના ફાઇનલ પ્લોટ નંબર 109/1, 109/2 અને 108 પૈકી રોડની કપાતમાં આવેલા બાંધકામ પર કરવામાં આવી હતી. આ રસ્તો 15.24 મીટર (50 ફૂટ) પહોળો કરવાનો હતો, જેના પર દબાણ હતું. ઉલ્લેખનીય છે કે, ટીપી સ્કીમ નંબર 1 માંથી પસાર થતા 15.24 કિલોમીટરના ટીપી રોડ પર દુકાનદારો દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું. આ દબાણ દૂર કરવા માટે ગુજરાત પ્રોવિનશિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949 અને ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ 1976 અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા ગત 18 ડિસેમ્બરના રોજ દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી. નોટિસની સમય મર્યાદા પૂર્ણ થતાં, કરમસદ-આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ ઇન્સ્પેક્ટરની ટીમે સ્થળ પર પહોંચીને દબાણ દૂર કરવાની કામગીરી કરી હતી.
પાટણ કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય અભિયાનને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવાનો હતો. બેઠક દરમિયાન નશા વિરોધી પ્રવૃત્તિઓ, પુનર્વસન કેન્દ્રોની કામગીરી, કાઉન્સેલિંગ સેવાઓ તેમજ યુવાનોને નશાથી દૂર રાખવા માટેના વિવિધ કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી હતી. નશા સંબંધિત ફરિયાદો માટેના હેલ્પલાઈન નંબર અને તેની અસરકારક અમલવારી અંગે પણ ચર્ચા થઈ હતી. કલેકટર તુષાર ભટ્ટે તમામ વિભાગોને પરસ્પર સંકલન સાથે કાર્ય કરીને નશા મુક્ત ભારત અભિયાનને જનઆંદોલન બનાવવાની સૂચના આપી હતી. આ પ્રસંગે છેલ્લા ૧૦ વર્ષથી વ્યસનમુક્તિ માટે નિષ્ઠા અને સેવાભાવનાથી નિ:શુલ્ક અભિયાન ચલાવી રહેલા નરેશભાઈ પટેલનું કલેકટર તુષાર ભટ્ટના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુભાઈ પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આણંદ જિલ્લા વહીવટી તંત્રએ ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે 'પરીક્ષા સારથી' હેલ્પલાઇન શરૂ કરી છે. પરીક્ષાના તણાવ અને મૂંઝવણને દૂર કરવા આ પહેલ કરવામાં આવી છે. કલેક્ટર પ્રવીણ ચૌધરીએ 27 જાન્યુઆરીના રોજ આ વિશેષ સેવાનું લોન્ચિંગ કર્યું હતું. આ હેલ્પલાઇન દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. 11 કાઉન્સિલરોના નંબર જાહેર કરાયા છે, જેઓ 18 માર્ચ સુધી સતત કાર્યરત રહેશે. આ સેવા ફેબ્રુઆરી અને માર્ચમાં યોજાનારી બોર્ડ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને શરૂ કરાઈ છે. આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે, પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓમાં મનોશારીરિક પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. આવા સમયે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે આણંદ વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગે સંયુક્ત રીતે આ પહેલ કરી છે. વાલીઓ પણ પોતાના બાળકોની કારકિર્દી અંગે કોઈ મૂંઝવણ હોય તો આ નિષ્ણાતો સાથે વાત કરી શકે છે. જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદીના જણાવ્યા મુજબ, આ ટીમમાં પ્રોફેસરોથી લઈને આચાર્યોનો સમાવેશ થાય છે. હેલ્પલાઇન માટે નિયુક્ત કરાયેલા નિષ્ણાત કાઉન્સિલરોમાં પ્રોફેસર સમીર પટેલ (98250 25994), પ્રોફેસર પંકજ સુવેરા (94273 81952), પ્રોફેસર ડો. પલ્લવી ત્રિવેદી (94284 91288), પ્રોફેસર ડો. જીગર જાની (94260 09495), પ્રોફેસર ડો. હસમુખ ચાવડા (95370 63325), પ્રોફેસર ડો. મોહસીન (97371 63086), પ્રોફેસર ડો. સતીશ હંસપરા (99046 50128), આચાર્ય અલ્પેશ ભટ્ટ (94275 76515), વર્ગ-2 અધિકારી રાકેશભાઈ પટેલ (94292 97770), શિક્ષક સોનલબેન ત્રિવેદી (99251 06220) અને શિક્ષક બી.બી. મહિડા (97234 72685)નો સમાવેશ થાય છે.
મોરબી વાસ્મો કચેરીના યુનિટ મેનેજરને જળ જીવન મિશન હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્યકક્ષાના 'બેસ્ટ યુનિટ મેનેજર' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સન્માન ૭૭માં પ્રજાસત્તાક પર્વની રાજ્યવ્યાપી ઉજવણીના અવસરે ગાંધીનગર ખાતે પાણી પુરવઠા વડી કચેરી દ્વારા આયોજિત સમારોહમાં કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા વિકાસ અધિકારી એન.એસ. ગઢવીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ (DWSC) ની બેઠકમાં આ સિદ્ધિની નોંધ લેવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાસ્મો ટીમને વિશેષ બહુમાન આપી અભિવાદન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતેના કાર્યક્રમમાં યુનિટ મેનેજરને તેમની પ્રશંસનીય સેવાઓ બદલ 'બેસ્ટ યુનિટ મેનેજર' તરીકેનું પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર એનાયત કરાયો હતો. જિલ્લા વિકાસ અધિકારીએ વહીવટી તંત્ર વતી વાસ્મો ટીમને અભિનંદન પાઠવી રાજ્યકક્ષાએ મોરબી જિલ્લાની શ્રેષ્ઠ કામગીરીનું પ્રદર્શન કરવા બદલ સન્માનિત કર્યા હતા. આ બેઠકમાં જિલ્લાના જળ વ્યવસ્થાપન અને સ્વચ્છતા માટે પાણી પુરવઠા બોર્ડ હેઠળના રિજુવીનેશન કાર્યક્રમના કામોની સૈદ્ધાંતિક મંજૂરી, જલ અર્પણ કાર્યક્રમ, ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાની નિભાવણી, પાણીવેરાની વસૂલાત અને પ્રોત્સાહન યોજના તેમજ પાણી પુરવઠા સંબંધિત ફરિયાદોના ત્વરિત નિકાલ સહિતના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે વાસ્મોના યુનિટ મેનેજર અને જિલ્લા પાણી પુરવઠા અધિકારી એમ.એસ. દામાએ આ સફળતાનો શ્રેય જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના સતત માર્ગદર્શન તથા સમગ્ર ટીમની મહેનતને આપ્યો હતો.
બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતી મહોત્સવ અત્યંત ભવ્ય અને ઐતિહાસિક રીતે 2 ફેબ્રુઆરી, 2026ના રોજ વડોદરાના અટલાદરા ખાતે યોજાશે. આ મહોત્સવમાં બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ સ્થાપિત થવાની શક્યતા છે, જ્યારે અંદાજે બે લાખથી વધુ હરિભક્તો તેમજ 14 દેશોમાંથી 13 હજારથી વધુ NRI ભક્તો ઉપસ્થિત રહેશે. આખા મેદાનમાં 14 હજાર સ્વયંસેવકો ખડેપગે તૈયારીઓમાં જોડાયા છે. મહંત સ્વામી મહારાજને બે વિશેષ બહુમાનપત્રો અર્પણ કરાશેઆ અવસરે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા મહંત સ્વામી મહારાજને બે વિશેષ બહુમાનપત્રો અર્પણ કરવામાં આવશે. ઈંગ્લેન્ડથી આવેલા ગિનિસના અધિકારીઓ દ્વારા આ બહુમાન આપશે. જેમાં પ્રથમ બહુમાન 15000થી વધુ બાળકો દ્વારા સત્સંગદીક્ષા ગ્રંથના સંસ્કૃત શ્લોકોના સંપૂર્ણ મુખપાઠ બદલ આપવામાં આવશે. મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આ બાળકોએ 315 શ્લોકો ધરાવતા આ ગ્રંથનું પૂર્ણ મુખપાઠ કર્યું છે, જે ઉન્નત જીવનની પ્રેરણા આપે છે. બે લાખથી વધુ ભક્તો હાજરી આપશેઆ સાથે અન્ય એક એવોર્ડ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ હિન્દુ મંદિરોના નિર્માણમાં પ્રમુખ સ્વામી મહારાજના જીવનકાળ દરમિયાન 1200 મંદિરોનું નિર્માણ થયું હતું અને મહંત સ્વામી મહારાજ તેમના અનુગામી તરીકે આ વારસાને આગળ વધારી રહ્યા છે. આ બહુમાન તેઓ સ્વીકારશે. મહોત્સવ સ્થળે અંદાજે 350 એકર જમીનમાં 14,000 જેટલા સ્વયંસેવકો દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. અંદાજિત બે લાખથી વધુ હરિભક્તો તેમજ દેશ-વિદેશના લાખો ભક્તો હાજર રહેશે. વિશ્વભરમાં 1800થી વધુ મંદિરોમાં સનાતન વૈદિક ધર્મના સંસ્કારોનું જતન મહંત સ્વામી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી તરીકે BAPSના વૈશ્વિક સેવાકાર્યોનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ વિશ્વભરમાં 1800થી વધુ મંદિરોમાં સનાતન વૈદિક ધર્મના સંસ્કારોનું જતન થઈ રહ્યું છે. ખાસ કરીને અમેરિકાના રોબિન્સવિલમાં સ્વામિનારાયણ અક્ષરધામ અને અબુ ધાબીમાં પરંપરાગત BAPS હિન્દુ મંદિર જેવા મહત્વના મંદિરોનું નિર્માણ તેમના નેતૃત્વમાં થયું છે. એક લાખથી વધુ ઘરોની રૂબરૂ મુલાકાત લઈને ભાવિકોને મહોત્સવમાં જોડાવા આમંત્રણ જન્મજયંતી ઉપલક્ષે અનેક વિશેષ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં લાભ પાંચમના દિવસે 140 ઔદ્યોગિક એકમોમાં મહાપૂજા, સુરસાગર તળાવ ખાતે 1292 બાળ-બાલિકાઓ દ્વારા 292 કુંડ પર વિશ્વશાંતિ યજ્ઞ, જબલપુરથી વડોદરા સુધી 92 યુવાનો દ્વારા મશાલયાત્રા, મહારક્તદાન કેમ્પ તેમજ 7200 જેટલી મહિલા પ્રેરણા સભાઓનું આયોજન થયું હતું. શહેરમાં હરિભક્તોએ એક લાખથી વધુ ઘરોની રૂબરૂ મુલાકાત લઈને ભાવિકોને મહોત્સવમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું.આ ભવ્ય મહોત્સવ BAPS સંસ્થાના આધ્યાત્મિક અને સેવાકાર્યોની વૈશ્વિક ઓળખને વધુ મજબૂત કરશે. નવ વર્ષમાં દર છઠ્ઠા દિવસે એક મંદિર અને નવમા દિવસે એક સંતની ભેટ આ બાબતે ડો જ્ઞાનવત્સલ્ય સ્વામીએ જણાવ્યું હતું કે, આ આપના વડોદરાના આંગણે ભવ્ય મહોત્સવ થવા જઈ રહ્યો છે. મહંત સ્વામીએ 92 વર્ષના જીવન કાળમાં જે કઈ આપ્યું છે જેને લઈ આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. મહંત સ્વામી મહારાજ ગુરુ પાડે આવ્યા ત્યારે છેલ્લા નવ વર્ષમાં દર છઠ્ઠા દિવસે એક મંદિર અને નવમા દિવસે એક સંતની ભેટ આપી છે. આટલું બધું રીતે સમાજને આપ્યુ છે જેથી સમાજ અને ભક્તોનો ભક્તિભાવ છે કે તેઓના જન્મ દિવસે તેઓને અભિનદન પાઠવવા અને આભાર માનવો. આ કાર્યક્રમમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ સ્થાપિત થવાના છે. વધુમાં કહ્યું કે, બે રાજ્યના મુખ્યમંત્રી આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મધ્ય પ્રદેશ કે જ્યાં મહંત સ્વામીનું જન્મસ્થાન હે જબલપુર ડો મોહન યાદવની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમમાં બે લાખથી વધુ ભક્તો અને દુનિયાના 14 દેશોના 13 હજારથી વધુ ભક્તો NRI પધારશે.
સાઠંબામાં યુવક પર હુમલો કરનાર ચાર આરોપીનું સરઘસ:નશાની હાલતમાં માર મારતાં પોલીસે ધરપકડ કરી
સાઠંબા તાલુકા મથકમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સાઠંબા હાઈસ્કૂલ પાછળ દારૂ પીવા બેઠેલા ચાર શખ્સોએ ભેંસો ચરાવી રહેલા એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના બાદ સાઠંબા પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી હતી અને આજે તેમનું જાહેર સરઘસ કાઢી ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારે સાઠંબા ગામના પ્રવિણસિંહ પરમાર હાઈસ્કૂલ પાછળના ખેતરમાં ભેંસો ચરાવી રહ્યા હતા. તે સમયે દારૂ પીવા બેઠેલા રાહુલસિંહ ઉદેસિંહ સોલંકી, રાજેન્દ્રસિંહ ભુપતસિંહ સોલંકી, રાજ બહાદુરસિંહ દિલીપસિંહ સોલંકી (તમામ રહે. કાશીયાવત, તા. સાઠંબા) અને કાર્તિકકુમાર લક્ષ્મણભાઈ ઠાકોર (રહે. આસપુર, તા. વિરપુર) નામના ચાર શખ્સોએ પ્રવિણસિંહને 'તું અહીં અમને જોવા કેમ આવ્યો' કહી બિભત્સ શબ્દો બોલી ઝઘડો કર્યો હતો. ત્યાર બાદ તેમણે પ્રવિણસિંહ પર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પ્રવિણસિંહ પરમારને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર માટે વાત્રક ખસેડવામાં આવ્યા હતા. આ જીવલેણ હુમલાથી પ્રવિણસિંહના પરિવારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. પ્રવિણસિંહ (ગબાભાઈ) પરમારે આ મામલે સાઠંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે સાઠંબા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ઉપરોક્ત ચારેય આરોપીઓની ધરપકડ કરી તેમને જેલ હવાલે કર્યા હતા. આજે પોલીસે તમામ આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ ઉપરાંત, આરોપીઓનું સાઠંબા બજારમાં જાહેરમાં સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું, જેની ગ્રામજનોએ પ્રશંસા કરી હતી.
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ખાતે રૂ. ૫ કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મંત્રી રમેશ કટારા અને સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે સંપન્ન થયો હતો. આ પ્રસંગે મંત્રી રમેશ કટારાએ જણાવ્યું હતું કે આરોગ્ય સેવાઓ દરેક નાગરિકની પ્રાથમિક જરૂરિયાત છે. રાજ્ય સરકાર દ્વારા વિસ્તાર મુજબ આધુનિક સુવિધાઓ સાથેના સામૂહિક આરોગ્ય કેન્દ્રોની સ્થાપના કરીને લોકોને તેમના જ વિસ્તારમાં ઉત્તમ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તેમણે ખાતરી આપી હતી કે જેસાવાડા અને આસપાસના વિસ્તારના નાગરિકોને હવે ઘરઆંગણે ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળશે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના તમામ નાગરિકો સુધી શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ પહોંચાડવા રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આરોગ્ય ક્ષેત્રે સતત મજબૂત માળખું ઊભું કરી રહી છે. તેમણે પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેના માધ્યમથી દેશભરના લાખો જરૂરતમંદ દર્દીઓને નિઃશુલ્ક સારવાર મળી રહી છે, જેના કારણે ગંભીર બીમારીઓના ઈલાજનો આર્થિક ભારણ દર્દીઓ અને તેમના પરિવારજનો પર નોંધપાત્ર રીતે ઘટ્યું છે. આ ભૂમિપૂજન કાર્યક્રમમાં ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવટ, સરપંચો, અગ્રણી આગેવાનો, આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
બોટાદ નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયાએ વોર્ડ નંબર ૬માં સિદ્ધનાથ હોસ્પિટલથી ટાવર રોડ સુધી બની રહેલા નવા સી.સી. રોડની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ રોડ ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં હતો, જેના નવીનીકરણથી સ્થાનિકોને રાહત મળશે. નગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસ માટે પ્રયાસો ચાલી રહ્યા છે. આ અંતર્ગત વોર્ડ નંબર ૬માં વિકાસના કામો પૂરજોશમાં ચાલી રહ્યા છે. પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયાએ સ્થળ પર જઈને કામગીરીની પ્રગતિનો તાગ મેળવ્યો હતો. આ વિસ્તારના નાગરિકો અને વોર્ડના ચૂંટાયેલા સભ્યો દ્વારા રોડના સમારકામ માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. સ્થાનિકોની માંગણીને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા આ વિકાસ કાર્યને મંજૂરી આપવામાં આવી હતી અને હાલ તેનું કામ ચાલી રહ્યું છે. નિરીક્ષણ દરમિયાન પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયાએ જણાવ્યું હતું કે, “ઘણા વર્ષોથી આ રોડ બિસ્માર હતો, જેના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવી પડતી હતી. અમારા કાર્યકાળ દરમિયાન આ રોડ મંજૂર કરીને જનતાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું છે.” આ નવો સી.સી. રોડ તૈયાર થવાથી સ્થાનિક નાગરિકોની દૈનિક અવરજવરમાં સુવિધા વધશે. બોટાદ નગરપાલિકા શહેરના દરેક વિસ્તારમાં પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા આયોજિત રાજ્યસ્તરની પ્રતિષ્ઠિત સ્પર્ધા 'ROBOFEST–GUJARAT 5.0' ના લેવલ-II (આઈડિયેશન સ્ટેજ) માં CVM યુનિવર્સિટીની કુલ 7 ટીમો વિજેતા બની છે. આ વિજેતા ટીમોને કુલ ₹13 લાખની પ્રોત્સાહક ઇનામી રાશિ એનાયત કરવામાં આવશે. આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતની જાણીતી STEM સંસ્થાઓએ ભાગ લીધો હતો. જેમાં CVM યુનિવર્સિટી સંચાલિત જી. એચ. પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (GCET) ની 5 ટીમો અને મધુબેન અને ભાનુભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MBIT)ની 2 ટીમોએ પોતાના સંશોધનો દ્વારા નિર્ણાયકોને પ્રભાવિત કર્યા હતા. વિદ્યાર્થીઓએ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અત્યાધુનિક રોબોટિક્સ ક્ષેત્રે પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. તેમાં માઈનફિલ્ડ નેવિગેશન માટે ડ્રોન ટેકનોલોજી આધારિત એરિયલ રોબોટિક્સ, પાણીની અંદર કાર્ય કરી શકે તેવા ઓટોનોમસ અંડરવોટર વ્હીકલ (AUV), જટિલ રસ્તાઓ જાતે શોધી શકતા મેઝ સોલ્વર અને જમીન પર ચાલતા આધુનિક ગ્રાઉન્ડ વ્હીકલ રોબોટિક સોલ્યુશન્સનો સમાવેશ થાય છે. યુનિવર્સિટીની આ સિદ્ધિ ઉપરાંત, GCET, ADIT અને MBIT ના ફેકલ્ટી મેમ્બર્સ અને વિદ્યાર્થીઓએ શાળા કક્ષાના (જુનિયર લેવલ) વિદ્યાર્થીઓને પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેના પરિણામે અનેક સ્કૂલની ટીમો પણ આ સ્પર્ધામાં વિજેતા બની હતી. CVM યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ઇન્દ્રજીત પટેલે જણાવ્યું હતું કે, આ સિદ્ધિ CVM યુનિવર્સિટીની 'હેન્ડ્સ-ઓન લર્નિંગ' અને નવીનતા આધારિત શૈક્ષણિક સંસ્કૃતિનું પરિણામ છે. અમારા વિદ્યાર્થીઓએ ટેકનોલોજીના માધ્યમથી સામાજિક પ્રશ્નોના ઉકેલ લાવવાની ક્ષમતા દર્શાવી છે. આ સફળતા બદલ CVM યુનિવર્સિટીના પ્રેસિડન્ટ ભીખુભાઈ પટેલ, ઉપપ્રમુખ મનીષભાઈ પટેલ, માનદ મંત્રી એસ. જી. પટેલ, સહમંત્રી મેહુલભાઈ પટેલ, સહમંત્રી વિશાલભાઈ પટેલ તેમજ પ્રોવોસ્ટ ઇન્દ્રજિત પટેલ અને રજિસ્ટ્રાર સંદીપ વાલિયાએ વિદ્યાર્થીઓ અને તેમના મેન્ટર્સને અભિનંદન પાઠવ્યા હતા.
રાજકોટ મ્યુ. કમિશનર તુષાર સુમેરા આજે ફિલ્ડમાં ઉતર્યા હતા. મહાનગરપાલિકા દ્વારા રમતગમત અને જાહેર સુરક્ષાના ક્ષેત્રે બે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે તુષાર સુમેરાએ વોર્ડ નં. 17માં નિર્માણાધીન આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને ફાયર સ્ટેશનની મુલાકાત લઈને અહીં કામની રૂબરૂ સમીક્ષા કરી હતી. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ઓલમ્પિક્સ અને કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેની ડિઝાઈન 21 અનુભવી ખેલાડીના સૂચનો બાદ ફાઈનલ કરાઈ છે. હાલ આ પ્રોજેક્ટની અંદાજે 35 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આ કોમ્પ્લેક્ષમાં 8102 સ્ક્વેર મીટરનું બાંધકામ થશે, જેમાં મિનિફૂટબોલ, સ્કેટિંગ ટ્રેક અને કોમ્બેટ સ્પોર્ટ્સ માટે વિશેષ એરેના બનાવવામાં આવશે. આ સુવિધાનો લાભ આસપાસ રહેતા 3.5 થી 4 લાખ નાગરિકોને મળશે. અહીં કમિશનરએ બાંધકામની ગુણવત્તા બાબતે જરૂરી સૂચનાઓ આપી હતી. સાથોસાથ બાજુમાં બની રહેલા નવા ફાયર સ્ટેશનની પણ સમીક્ષા કરી હતી, જેનાથી આખા વિસ્તારની જાહેર સુરક્ષા વધુ સુદ્રઢ બનશે. રાજકોટના મનહરપુર-1માં રૂ. 30 લાખના ખર્ચે બનેલી આધુનિક લાઈબ્રેરી ખુલ્લી મુકાઈ રાજકોટ મહાપાલિકા દ્વારા વોર્ડ નંબર 3ના મનહરપુર-1 વિસ્તારમાં નવનિર્મિત લાઈબ્રેરીનું લોકાર્પણ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર નયના પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મનહરપુર-1માં જામનગર રોડ પર આશરે 80 ચોરસ મીટરમાં રૂ. 30 લાખના ખર્ચે લાઈબ્રેરી તૈયાર કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા દ્વારા ધોરણ 6 થી 8ના 11 બાળકોને લાઈફ ટાઈમ ફ્રી સદસ્યતા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. લાઈબ્રેરીમાં વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે અલગ વાંચનાલય, ઈશ્યુ કાઉન્ટર, વોટર કુલર અને શૌચાલય જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીં 7144 પુસ્તકો, 40 મેગેજીન અને 10 જેટલા દૈનિક પત્રોનો સંગ્રહ છે. આ ઉપરાંત નવલકથા, વિજ્ઞાન, ઇતિહાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી સાહિત્ય અહીં ઉપલબ્ધ કરાવાયું છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં હાલ 6 મોટી લાઈબ્રેરી અને મોબાઈલ લાઈબ્રેરી સહિત કુલ 15 સ્થળોએ સેવાઓ કાર્યરત છે, જેમાં 3,05,937 પુસ્તકોનો સંગ્રહ છે અને 40,350 સભ્યો તેનો લાભ લઈ રહ્યા છે. આફતનાં સમયમાં શુ કરશો ? સરકારી શાળાનાં છાત્રોને ખાસ તાલીમ અપાઈ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ, ગાંધીનગરના ઉપક્રમે ‘શાળા સલામતી સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. ગઈકાલથી શરૂ થયેલ આ કાર્યક્રમ અંતર્ગત દરરોજ 5 શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કુદરતી તથા માનવ સર્જિત આપત્તિઓ સામે રક્ષણ મેળવવા માટે ખાસ તાલીમ આપવામાં આવે છે. આ અભિયાનનો મુખ્ય હેતુ બાળકોમાં આપત્તિ સમયે જોખમો ઓળખવાની અને બચાવ પ્રયુક્તિઓ અંગેની સમજ કેળવવાનો છે. આ દરમિયાન ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા શાળામાં ઉપલબ્ધ ફાયર સેફ્ટીના સાધનો અને ફાયર એક્ષ્સ્ટીગ્યુશરનો ઉપયોગ કેવી રીતે કરવો તેનો પ્રેક્ટિકલ ડેમો આપવામાં આવે છે. જ્યારે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા પ્રાથમિક સારવાર અને CPR વિશે વિસ્તૃત માહિતી અપાય છે, તેમજ આગાખાન એજન્સી દ્વારા ધરતીકંપ, વાવાઝોડું અને પૂર જેવી આપત્તિઓ વખતે રાખવી પડતી કાળજી અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. તા. 31-01-2026 સુધી ચાલનારા આ કાર્યક્રમમાં ઇ.ચીફ ફાયર ઓફિસરના માર્ગદર્શન હેઠળ સુરક્ષા લક્ષી વિવિધ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટનું ગાંધી મ્યુઝીયમ આકર્ષણનું કેન્દ્ર બન્યું, 1.07 લાખ વિદેશીઓ સહિત 3.75 લાખે મુલાકાત લીધી રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત મહાત્મા ગાંધી મ્યુઝિયમ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. અલ્ફ્રેડ હાઇસ્કુલ ખાતે કાર્યરત આ મ્યુઝિયમનું ઉદઘાટન 30/09/2018ના રોજ પ્રધાનમંત્રી મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં મ્યુઝિયમની કુલ 3,75,242 મુલાકાતીઓએ મુલાકાત લીધી છે, જેમાં 2653 વિદેશી મહેમાનો અને 1,07,861 બાળકોનો સમાવેશ થાય છે. આ આધુનિક મ્યુઝિયમમાં ગાંધીજીના જીવનના આદર્શોને ઓડિયો, વિઝ્યુઅલ અને એલઇડી સ્ક્રીન દ્વારા આકર્ષક રીતે રજૂ કરવામાં આવ્યા છે. સાથેમુલાકાતીઓની સુવિધા માટે અહીં ગાઇડ, લાઇબ્રેરી, કોન્ફરન્સ રૂમ, સોવિનીયર શોપ અને રેસ્ટોરન્ટ જેવી વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે. તેમજ દરરોજ સાંજે 7 વાગ્યે ગાંધીજીના જીવન પર આધારિત ખાસ 'લાઇટ એન્ડ સાઉન્ડ શો' યોજાય છે. દર વર્ષે 26 જાન્યુઆરી, 30 જાન્યુઆરી, 15 ઓગસ્ટ અને 2 ઓક્ટોબરના રોજ 12 વર્ષથી ઓછી વયના બાળકોને નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવે છે.
ગોધરાના સાયન્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે સિકલીગર લોહાર સમાજ દ્વારા આંતરરાજ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. 28મી જાન્યુઆરી, 2026ના રોજ યોજાયેલી આ સ્પર્ધામાં ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી 24 ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં ગુજરાતના વિવિધ શહેરો ઉપરાંત દેવાસ, ભવાની મંડી, સુરજના, આગરા, ઇન્દોર, રતલામ, જોધપુર, ભોપાલ, નીમચ, ફતેપુરા, મન્સોર, સંતરોડ, બાસવાડા અને સીતામરુ જેવા વિસ્તારોની ટીમોએ ભાગ લીધો હતો. સિકલીગર લોહાર સમાજના યુવા ખેલાડીઓમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધે અને સમાજમાં એકતાની ભાવના મજબૂત થાય તેવા ઉમદા હેતુથી આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. પ્રારંભથી જ મેદાન પર યુવા ખેલાડીઓનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને તમામ ટીમોએ ખેલદિલીપૂર્વક પ્રદર્શન કર્યું હતું. આ ટુર્નામેન્ટને જોવા માટે મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બરોડા ખાતે આયોજિત ઓપન બરોડા બેડમિન્ટન ચેમ્પિયનશિપ–2026માં ધાંગધ્રાની આઈમન મુલતાનીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ સ્પર્ધામાં આઈમને સિંગલ્સ અને ડબલ્સ બંને ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ધાંગધ્રા તાલુકાનું ગૌરવ વધાર્યું છે. આ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપમાં સમગ્ર ભારતમાંથી ગર્લ્સ અને બોયઝ કેટેગરીના પ્રતિભાશાળી ખેલાડીઓએ ભાગ લીધો હતો. આઈમન મુલતાની ઝાલાવાડ મુલતાની જમાતના સેક્રેટરી જનાબ ઇલિયાસભાઈ વાકાણીની દીકરી છે. તેણે પોતાની રમતથી સૌને પ્રભાવિત કર્યા હતા. આઈમનની આ સિદ્ધિથી તેના પરિવાર ઉપરાંત સમગ્ર ધાંગધ્રા તાલુકાનું નામ રોશન થયું છે. રમતપ્રેમીઓમાં ચર્ચા છે કે આઈમને કઠોર મહેનત, શિસ્તબદ્ધ અભ્યાસ અને અડગ આત્મવિશ્વાસના બળે આ સફળતા હાંસલ કરી છે. તેની આ સિદ્ધિ બદલ સમાજના અગ્રણીઓ, સગાસંબંધીઓ અને રમતપ્રેમી નાગરિકોએ તેને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. આઈમનની આ સફળતા યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે અને ભવિષ્યમાં તે વધુ ઊંચા મુકામ સુધી પહોંચે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
સુરત શહેરના કતારગામ અને અમરોલીને જોડતો રત્નમાલા બ્રિજ છેલ્લા કેટલાક સમયથી વાહનચાલકોની બેદરકારીને કારણે ચર્ચામાં રહ્યો છે. શોર્ટકટ લેવાની લાયમાં અનેક વાહનચાલકો જીવના જોખમે રોંગ સાઈડમાં વાહનો હંકારી રહ્યા હતા, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ આખરે તંત્ર સફાળું જાગ્યું છે. હવે આ બ્રિજ પર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓની ખેર રહેશે નહીં. તંત્ર દ્વારા લેવાયા કડક પગલાંબ્રિજ પર ટ્રાફિકની ગંભીર સમસ્યા અને અકસ્માતના ભયને જોતા સુરત પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા તાત્કાલિક બ્રિજ પર રોંગ સાઈડ આવતા વાહનચાલકોને અટકાવવા માટે પોલીસ જવાનો અને TRB (ટ્રાફિક બ્રિગેડ) ના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. જે પોઈન્ટ્સ પરથી વાહનચાલકો રોંગ સાઈડમાં ઘૂસી જતા હતા, ત્યાં લોખંડના બેરીકેડ્સ મૂકીને રસ્તો કાયદેસર રીતે બંધ કરી દેવામાં આવ્યો છે. નિયમ તોડનારા વાહનચાલકો સામે મેમો ફાડવાની અને કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે. લોકોની ઉતાવળ તંત્ર માટે માથાનો દુ:ખાવોરત્નમાલા બ્રિજ પર વાહનચાલકો થોડો સમય બચાવવા માટે ટ્રાફિકના નિયમોને નેવે મૂકી રહ્યા હતા. સામેથી આવતા ભારે વાહનો સાથે અથડાવાના અનેક કિસ્સાઓ બનતા રહી ગયા છે. ટ્રાફિક પોલીસની ગેરહાજરીમાં રસ્તો વન-વે હોવા છતાં ટુ-વે જેવી સ્થિતિ સર્જાતી હતી. તંત્ર દ્વારા પહેલા કોઈ કાર્યવાહી ન કરતા હવે કડકાઈ વાપરવાની ફરજ પડી છે. શોર્ટકટ લેવાને બદલે નિયત રસ્તાનો જ ઉપયોગ કરવા અપીલઉતાવળ એ અકસ્માતને નિમંત્રણ છે આ વાત રત્નમાલા બ્રિજ પર સાર્થક થતી દેખાતી હતી. પરંતુ હવે બેરીકેડિંગ અને પોલીસ જવાનોની હાજરીને કારણે અહીં ટ્રાફિક વ્યવસ્થા સુધરશે તેવી આશા છે. સુરત પોલીસ દ્વારા જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે શોર્ટકટ લેવાને બદલે નિયત રસ્તાનો જ ઉપયોગ કરે જેથી સુરક્ષિત રહી શકાય.
રાણાવાવમાં બે ગુંડા તત્વોના ગેરકાયદેસર મકાનો તોડાયા:પોલીસ વિભાગે દબાણ હટાવવા કડક કાર્યવાહી કરી
રાણાવાવ વિસ્તારમાં અસામાજિક તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ ગેરકાયદેસર દબાણ અને મિલકતો અંગે સતત તપાસ ચાલી રહી હતી. આ તપાસ દરમિયાન રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારના બે અસામાજિક તત્વોની ગેરકાયદેસર મિલકતો પોલીસના ધ્યાને આવી હતી. પ્રાથમિક તપાસમાં આ મિલકતો જાહેર જમીન પર દબાણ કરીને બનાવવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. આ કાર્યવાહી રાણાવાવ ડિવિઝનના નાયબ પોલીસ અધિકારી ધ્રુવલ સી. સુતરિયાના માર્ગદર્શન હેઠળ અમલમાં મૂકવામાં આવી હતી. રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન. તળાવિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.વી. મોરી, એસ.એમ. કણઝરિયા અને પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમોએ મામલતદાર કચેરીના સ્ટાફ સાથે સંયુક્ત કામગીરી કરી હતી. આ ડિમોલિશન કામગીરી દરમિયાન રાણાવાવ તાલુકાના ગંડિયાવાળાનેશમાં રહેતા કરશન કાનાભાઈ કોડિયાતર અને રાણાવાવ તાલુકાના આસિયાપાટ ગામના વાડી વિસ્તારમાં રહેતા સંજય બાબુભાઈ ગોરાણિયાના ગેરકાયદેસર બાંધકામવાળા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. પોલીસ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યવાહી માત્ર શરૂઆત છે. વિસ્તારમાં અન્ય અસામાજિક તત્વો દ્વારા કરાયેલા ગેરકાયદેસર દબાણો અંગે તપાસ ચાલુ છે. આગામી સમયમાં પણ કાયદાનો ભંગ કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે.
ગુજરાતના ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ અને વ્યાજબી ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે મહત્ત્વપૂર્ણ પહેલ હાથ ધરી છે. રાજ્યના કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે ન્યૂનતમ ટેકાના ભાવે (MSP) કમિટીની મહત્ત્વની બેઠક યોજાઈ હતી. બેઠકમાં વર્ષ 2026-27 માટે વિવિધ રવિ અને ખરીફ પાકોના ટેકેના ભાવ નક્કી કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ટેકાના ભાવની ભલામણ કેન્દ્ર સરકારને મોકલાશેબેઠક દરમિયાન ખેતીના વધતા જતા ઉત્પાદન ખર્ચ, બજારની હાલની સ્થિતિ અને ખેડૂતોની આર્થિક સુખાકારીને ધ્યાનમાં રાખીને ભાવોની દરખાસ્ત તૈયાર કરવામાં આવી. મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ખેડૂતોની આવક વધારવાના સંકલ્પ સાથે કાર્યરત છે અને વર્ષ 2026-27 માટે જીરૂં, ઘઉં, રાયડો તેમજ અન્ય તેલીબિયાં અને દાળવર્ગના પાકો માટે વ્યાજબી ટેકાના ભાવની ભલામણ ટૂંક સમયમાં કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. ખેડૂતોને નુકસાન ન થાય તે રીતે ભલામણો તૈયાર કરવા ખાતરીઆ બેઠકમાં કૃષિ અને સહકાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ભારતીય કિસાન સંઘના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. કિસાન સંઘ દ્વારા બિયારણ, ખાતર, મજૂરી અને અન્ય ખેતી ખર્ચમાં થયેલા વધારાની વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ મુદ્દાઓને ગંભીરતાથી લઈને ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય તે રીતે ભાવ ભલામણો તૈયાર કરવાની ખાતરી આપી હતી. કેન્દ્ર સરકાર આગામી સીઝન માટે દેશવ્યાપી MSP જાહેર કરશેરાજ્ય સ્તરે તૈયાર થયેલા રિપોર્ટ કેન્દ્રના કૃષિ મંત્રાલય તેમજ ‘કમિશન ફોર એગ્રીકલ્ચરલ કોસ્ટ્સ એન્ડ પ્રાઈસિસ (CACP)’ને મોકલવામાં આવશે, જેના આધારે કેન્દ્ર સરકાર આગામી સીઝન માટે દેશવ્યાપી MSP જાહેર કરશે. 2026-27માં ગત વર્ષ કરતાં વધુ લાભદાયી ભાવ મળશેઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે રાજ્યમાં મગફળી, સોયાબીન અને અડદ સહિતના પાકોની મોટા પાયે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી, જેના કારણે લાખો ખેડૂતોને સીધો લાભ થયો હતો. બેઠક બાદ ખેડૂતોમાં આશા જાગી છે કે વર્ષ 2026-27માં પણ ગત વર્ષ કરતાં વધુ લાભદાયી ભાવ મળશે.
રાજ્ય સરકારની ગાઇડલાઇન અનુસાર મહેસાણા ખાતે જિલ્લા સ્વાસ્થ્ય પરિષદનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય અધિકારી ભરત સોલંકીના જણાવ્યા અનુસાર આ મહત્વપૂર્ણ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયત પ્રમુખના સીધા માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ પરિષદમાં રાજ્ય કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લાના આરોગ્યલક્ષી પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કડી તાલુકામાં માતા મરણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધુઆ પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય મહેસાણા જિલ્લામાં માતા મરણ અને બાળ મરણના દરમાં ઘટાડો લાવવાનો છે. આ ઉપરાંત જિલ્લામાં ન્યુટ્રીશન એટલે કે પોષણની સ્થિતિ સુધારવા અને સતત ઘટતા જતા સેક્સ રેશિયો જાતિ પ્રમાણ જેવા પડકારજનક મુદ્દાઓ પર ગંભીરતાથી આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના વિવિધ તાલુકાઓની સમીક્ષા કરતા અધિકારીએ જણાવ્યું કે, ચાલુ વર્ષે કડી તાલુકામાં માતા મરણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધુ જોવા મળ્યું છે, જ્યારે તેની સરખામણીએ વિસનગર તાલુકાની સ્થિતિ ઘણી સારી છે. નોંધનીય છે કે ગત વર્ષે વિસનગર તાલુકામાં એક પણ માતા મરણ નોંધાયું નહોતું. વર્ષ 2025-26 દરમિયાન અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 19 માતા મરણ નોંધાયાઆંકડાકીય વિગતો આપતા અધિકારીએ જણાવ્યું કે વર્ષ 2025-26 દરમિયાન અત્યાર સુધીમાં સમગ્ર જિલ્લામાં કુલ 19 માતા મરણ નોંધાયા છે. માતા મરણ પાછળના કારણો સ્પષ્ટ કરતા તેમણે જણાવ્યું કે ઘણી વખત પરિસ્થિતિ અને માતાની ગંભીર બીમારીઓ જવાબદાર હોય છે. ખાસ કરીને હૃદય કાર્ડિયાક અને કિડની સંબંધિત બીમારીઓ ધરાવતી જોખમી માતાઓના કિસ્સામાં મૃત્યુ રોકવું મુશ્કેલ હોય છે, પરંતુ જે કારણો અટકાવી શકાય તેવા છે. જિલ્લામાં 5થી 7 ટકા કુપોષિત બાળકોબાળકોમાં કુપોષણની સ્થિતિ અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કુપોષિત બાળકોની સંખ્યામાં થોડો ઘટાડો નોંધાયો છે. જોકે હજુ પણ જિલ્લામાં 5થી 7 ટકા જેટલા બાળકો કુપોષણનો શિકાર છે. જેને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા આગામી સમયમાં સઘન કામગીરી કરવામાં આવશે.
બોટાદની શ્રી લાઠીદડ કે.વ. શાળામાં શાળા સલામતી સપ્તાહ–2026 અંતર્ગત ફાયર સેફટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના કુલ 541 વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આગ નિવારણ તથા ઈમરજન્સી અંગે તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં આગથી બચાવ અને ઈમરજન્સી પરિસ્થિતિમાં યોગ્ય પ્રતિભાવ અંગે જાગૃતિ લાવવાનો હતો. ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા આગ લાગવાની પરિસ્થિતિમાં રાખવાની જરૂરી સાવધાની અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી આ ઉપરાંત, આગ બુઝાવવાની પ્રાથમિક તાલીમ, ઈમરજન્સી સમયે અપનાવવાની સાવચેતીઓ, રેસ્ક્યુ કામગીરીની પ્રક્રિયા તથા આગના સમયે જીવ બચાવવા માટેના ઉપાયો અંગે પ્રાયોગિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ફાયર વિભાગ દ્વારા ઈમરજન્સી નંબર, ફાયર સેફટી માટેના વિવિધ સાધનો અને તેનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તેની પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ પ્રકારના જાગૃતિસભર કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં સલામતી અંગેની સમજ વધે તેમજ કોઈપણ આપત્તિ સમયે યોગ્ય રીતે પ્રતિસાદ આપી શકાય તે દિશામાં મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે હવે પાર્કિંગ નિયમનો કડક અમલ કરવામાં આવશે. તાજેતરમાં એવું ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક વાહનચાલકો એરપોર્ટ તરફ જતા એપ્રોચ રોડ પર આડેધડ વાહન પાર્ક કરી ચાલ્યા જાય છે. જેને લીધે અકસ્માતનો ગંભીર ખતરો રહે છે ત્યારે હવે રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દ્વારા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નિયમનો અમલ કરતા નો પાર્કિંગ પેનલ્ટી રૂ.500 જાહેર કરવામાં આવી છે. આડેધડ ઉઘરાણા કરવા બદલ VIP એજન્સીને કેમ દંડ ના કર્યો?આ પેનલ્ટીના લીધે રાજકોટ એરપોર્ટ પરથી ફ્લાઈટમાં અવરજવર કરતા 5000 હવાઈ મુસાફરોના પરિવારજનોને અસર પહોંચશે. જોકે અહીં મહત્વની વાત એ છે કે અગાઉ એરપોર્ટમાં પાર્કિંગના નામે હવાઈ મુસાફરોના પરિવારજનો પાસેથી આડેધડ ઉઘરાણા કરવામાં આવ્યા તે બદલ VIP એજન્સીને એરપોર્ટ ઓથોરિટી દ્વારા કોઈ દંડ શા માટે ન કરવામાં આવ્યો? નો પાર્કિંગ વાહન પાર્ક કરનાર સામે કડક કાર્યવાહીરાજકોટ એરપોર્ટના ડાયરેક્ટર દિગંત બોરાહે દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યુ હતુ કે, જાહેર સલામતીને પ્રાથમિકતા આપતા એરપોર્ટ ઓથોરિટીએ હવેથી એરપોર્ટ પરિસરમાં, એપ્રોચ રોડ સહિત કર્બ સાઈડ અને શહેર સાઈડ પર નો પાર્કિંગ વિસ્તારમાં વાહનો પાર્ક કરનાર સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. જેની કડક અમલવારી કરાવવામાં આવશે અને જો કોઈ પણ વાહન ચાલક દ્વારા તેનો ભંગ કરવામાં આવશે તો રૂ.500 નો દંડ થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2020 ના એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા 19 ઓક્ટોબર રોજ પ્રકાશિત એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એરપોર્ટ મેનેજમેન્ટ) બીજા સુધારા નિયમો-2020 મુજબ આપવામાં આવેલી સત્તાઓના આધારે આ કાર્યવાહી કરવામાં આવશે. ગેઝેટ સૂચના (CG-DL-E-19102020-222552) અનુસાર, નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ કાયદાની કલમ 42ની પેટા-કલમ (3) હેઠળ દંડને પાત્ર બનશે.
મોરબી હોસ્પિટલમાં આગનો કોલ મળ્યો:ફાયર બ્રિગેડે બે વ્યક્તિને બચાવ્યા, મોકડ્રિલ જાહેર કરાઈ
મોરબીની માળિયા ફાટક પાસે આવેલી સમર્પણ હોસ્પિટલમાંથી આગ અને બે વ્યક્તિ ફસાયા હોવાનો કોલ ફાયર એન્ડ ઈમરજન્સી શાખાને મળ્યો હતો. કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે આગ પર કાબૂ મેળવી હોસ્પિટલના બીજા માળે ફસાયેલા બે વ્યક્તિને સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યા હતા. ત્યારબાદ તેમને એમ્બ્યુલન્સ મારફત અન્ય હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી દ્વારા આયોજિત મોકડ્રિલનો ભાગ હતી. મોકડ્રિલ જાહેર થતાં જ હોસ્પિટલ સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો. આ મોકડ્રિલનો મુખ્ય હેતુ હોસ્પિટલમાં આગ કે અન્ય કોઈ દુર્ઘટના બને ત્યારે કેઝ્યુઅલ્ટીને કઈ રીતે બચાવવી તેની તૈયારી ચકાસવાનો હતો. આ રેસ્ક્યુ કામગીરીએ ફાયર બ્રિગેડની સજ્જતા અને આધુનિક ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. આ પ્રકારની મોકડ્રિલ શહેરીજનોમાં સુરક્ષા પ્રત્યે જાગૃતિ વધારવામાં અને ઈમરજન્સી પરિસ્થિતિમાં યોગ્ય પ્રતિભાવ આપવામાં મદદરૂપ થશે.
ગાંધીનગરના ગિફ્ટ સિટી નજીકના વલાદ ગામે વિદેશી દારૂનું કટિંગ થતું હોવાની બાતમીના આધારે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે મધરાતે ત્રાટકી વાયરના ડ્રમની આમાં છુપાવેલ રૂપિયા 2.98 લાખની કિંમતનો વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે બે શખસોને દબોચી લઈ ડભોડા પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો છે. આ સમગ્ર ખેલ રેલવે પાર્સલ દ્વારા ખેલાતો હોવાનું લોકલ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. ગાંધીનગર પોલીસે રાત્રે પોણા બે વાગ્યે દરોડો પાડ્યોગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એચ.પી. પરમારની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે વલાદ ગામના શક્તિનગર વિસ્તારમાં રહેતા નિર્મલ ઉર્ફે મોન્ટુ પટેલના ઘરે વિદેશી દારૂનું મોટાપાયે કટિંગ ચાલી રહ્યું છે. જેના પગલે પોલીસે રાત્રે પોણા બે વાગ્યે દરોડો પાડતા ઘરના કમ્પાઉન્ડમાં એક લોડિંગ રિક્ષા અને બે એક્ટિવા પાસે કેટલાક શખસો સામાન ઉતારતા નજરે પડ્યા હતા. દારૂનું કટિંગ કરતા બે શખસોને પોલીસે ઝડપી પાડ્યાજોકે પોલીસને જોતા જ આરોપીઓમાં નાસભાગ મચી ગઇ હતી. જેમાંથી જયેશ ઉર્ફે જીગો સોલંકી (રહે. અરવિંદ પટેલની ચાલી, નરોડા) અને અનિલ ફતેલાલ પાલીવાલ (રહે. દરજીની ચાલી, અમદુપુરા) નામના બે શખસોને પોલીસે કોર્ડન કરીને પકડી લીધા હતા. બાદમાં પોલીસે સ્થળ પર તપાસ કરી તો વાયરના 12 ડ્રમ મળી આવ્યા હતા. 12 ડ્રમમાંથી 1090 નંદ દારૂ-બિયરનો જથ્થો મળ્યોબાદમાં પોલીસે ડ્રમમાં લપેટેલા વાયરોને ખેંચતા જ વિદેશી દારૂની બોટલો ટપોટપ નીચે પડવા માંડી હતી. આ જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આમ એક પછી એક 12 ડ્રમ ચેક કરવામાં આવતા કુલ 1090 નંગ દારૂ બિયરનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે પોલીસે અનિલ પાલીવાલની અંગઝડતી લેતા તેની પાસેથી ભારતીય રેલવેની એક ડિલિવરી રિસીપ્ટ મળી આવી હતી. દારૂ મંગાવનાર હર્ષ શર્મા સ્થળ પરથી ભાગી છૂટ્યોજેમાં ઉદયપુરથી અસારવા જંકશન સુધી પાર્સલ મોકલવામાં આવ્યું હોવાની વિગત હતી. જેની પૂછપરછમાં બહાર આવ્યું કે, નરોડાનો હર્ષ શર્મા (રહે.મહાકાલી પેટ્રોલ પંપ નજીક, દાસ્તાન સર્કલ નરોડા) રાજસ્થાનના રાહુલ નામના શખસ પાસેથી રેલવે પાર્સલ દ્વારા દારૂ મંગાવતો હતો અને ત્યાંથી લોડીંગ રિક્ષામાં દારૂનો જથ્થો વલાદ લાવીને તેનું કટીંગ કરવામાં આવતું હતું. આ રેઇડ દરમિયાન ઘરનો માલિક નિર્મલ ઉર્ફે મોન્ટુ પટેલ અને દારૂ મંગાવનાર હર્ષ શર્મા સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. મોબાઈલ-રોકડ સહિત રૂ.5.78 લાખનો મુદ્દામાલ જપ્તલોકલ ક્રાઈમ બ્રાન્ચે હાલમાં આ બંને સહિત કુલ 5થી 6 લોકો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ડભોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી દારૂ બિયરનો જથ્થો, લોડીંગ રિક્ષા, ત્રણ મોબાઇલ અને રોકડ સહિત કુલ રૂ.5.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ કૃષિ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેતી અંગેનો છ દિવસીય પ્રાદેશિક તાલીમ કાર્યક્રમ સંપન્ન થયો છે. કુલપતિ કે. બી. કથીરીયાના માર્ગદર્શન હેઠળ પ્રસાર શિક્ષણ ભવન દ્વારા આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જમીનની ફળદ્રુપતા અને લોકોના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે પ્રાકૃતિક ખેતીના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ પ્રાદેશિક તાલીમમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના કુલ 25 કૃષિ અધિકારીઓએ ભાગ લીધો હતો. આ અધિકારીઓને પ્રાકૃતિક ખેતીના પાયાના અને વ્યવહારુ પાસાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન નિષ્ણાતો દ્વારા વિવિધ મહત્વના મુદ્દાઓ આવરી લેવાયા હતા. જેમાં જમીનના જૈવિક ગુણોને જાળવી રાખવાની સમજ, રાસાયણિક દવાઓ વગર પ્રાકૃતિક પદ્ધતિથી જીવાત અને નિંદામણ નિયંત્રણ, ખેતીમાં ઉપયોગી સૂક્ષ્મજીવોનું મહત્વ, તેમજ પ્રાકૃતિક ઉત્પાદનોના માર્કેટિંગ અને સર્ટિફિકેશન પ્રક્રિયાનો સમાવેશ થાય છે. તાલીમની અસરકારકતા વધારવા માટે પ્રત્યક્ષ નિદર્શન અને મુલાકાતોનું આયોજન કરાયું હતું. તાલીમાર્થીઓએ સરદાર પટેલ કૃષિ શૈક્ષણિક સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, યુનિવર્સિટીના પ્રાકૃતિક ખેતી મોડેલ ફાર્મ પર જીવંત નિદર્શન નિહાળ્યું હતું અને પ્રગતિશીલ ખેડૂતોના ખેતરોની મુલાકાત લઈને વ્યવહારુ પડકારો અને તેના ઉકેલો વિશે જાણકારી મેળવી હતી. આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ કે.બી. કથીરીયાએ જણાવ્યું હતું કે, આ તાલીમ દ્વારા પ્રાપ્ત જ્ઞાન અધિકારીઓ પોતાના રાજ્યના ખેડૂતો સુધી પહોંચાડશે, જે જમીન અને સ્વાસ્થ્યની સુરક્ષા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. કાર્યક્રમના અંતે, કુલપતિ અને EEI ના ડાયરેક્ટર જે. કે. પટેલે તાલીમાર્થીઓ સાથે સંવાદ કરીને તેમના પ્રતિભાવો મેળવ્યા હતા અને આ અભિયાનને વેગ આપવા પ્રોત્સાહિત કર્યા હતા.
સુરતના પાલનપુર કેનાલ રોડ પર સ્માર્ટ સિટીના નામે લાખો-કરોડો રૂપિયાના ખર્ચે બનેલો RCC રોડ માત્ર 6-7 મહિનામાં જ તૂટી પડ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. 30 વર્ષની ગેરંટીની વાતો સાથે બનાવવામાં આવેલા આ રોડમાં હવે ઠેર-ઠેર તિરાડો, ગાબડાં અને નમી જવાની સ્થિતિમાં પહોંચી ગયો છે, જેને લોકો પ્રજાના પૈસાનું આંધણ ગણાવી રહ્યા છે. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતની શંકાસ્થાનિક અગ્રણી મહેશભાઈ પટેલ સહિત નાગરિકોનો આક્ષેપ છે કે, ગુણવત્તામાં ચેડાં અને ભ્રષ્ટાચારને કારણે રોડની આવી હાલત થઈ છે. RCC રોડ સામાન્ય રીતે દાયકાઓ સુધી ટકે તે રીતે બનાવવામાં આવતા હોય છે પરંતુ, અહીં સ્થિતિ ઉલટી છે. આ રોડ 30 વર્ષ સુધી ચાલે એવી વાતો કરવામાં આવી હતી પણ 7-8 મહિનામાં જ રોડ તૂટી ગયો છે, દબાઈ ગયો છે અને તેમાં મોટી તિરાડો પડી ગઈ છે. રોડ એક તરફ નમી જવાથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે, કામગીરીમાં મટીરીયલની ચોરી કરવામાં આવી છે. આ ઘટના પાછળ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ વચ્ચેની પૈસાની ભાગબટાઈ અને ભ્રષ્ટાચાર જવાબદાર હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. ફરિયાદો કરવા છતાં મ્યુનિસિપલ કમિશનર અને વિજિલન્સ મૌનવધુમાં તેઓએ જણાવ્યું કે, નબળી કામગીરી અંગે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. મહેશભાઈએ આ અંગે સુરત મ્યુનિસિપલ કમિશનર અને વિજિલન્સ ઓફિસરને ઈ-મેઈલ દ્વારા પુરાવા સાથે ફરિયાદ કરી હોવા છતાં આજ સુધી તંત્ર તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. કોઈપણ પ્રકારની તપાસ કે રિપેરિંગની કામગીરી શરૂ ન થતા લોકોમાં એવો સંદેશ જઈ રહ્યો છે કે, તંત્ર ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યું છે. અધિકારીઓની આ નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે આક્રોશ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોઈ સુનાવણી ન થતા હવે આ લડત ગાંધીનગર સુધી પહોંચશે. મેં ઈ-મેઈલ કર્યા પણ કોઈ જવાબ મળ્યો નથી, હવે હું સીધી મુખ્યમંત્રીને રજૂઆત કરીશ. સરકારની છબી ખરાબ કરનારા તત્વોને બ્લેકલિસ્ટ કરવાની માંગસ્થાનિકોની માંગ છે કે, CM આ બાબતે તપાસના આદેશ આપે અને જે કોન્ટ્રાક્ટરો તેમજ અધિકારીઓએ સાથે મળીને પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ કર્યો છે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. સરકારની છબી ખરાબ કરનારા તત્વોને બ્લેકલિસ્ટ કરવાની માંગ જોર પકડી રહી છે. CMને રજૂઆત કર્યા બાદ પણ જો સંતોષકારક પગલાં લેવામાં નહીં આવે તો સ્થાનિકોએ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની તૈયારી કરી લીધી છે. મહેશભાઈએ સ્પષ્ટ ચીમકી આપી છે કે, જો અમારી માંગણીઓ નહીં સંતોષાય તો અમે ગામના તમામ લોકોને સાથે રાખીને મોટું આંદોલન કરીશું. મોટી દુર્ઘટના સર્જાય અને કોઈ નિર્દોષનો જીવ જાય તે પહેલાં રોડનું નવીનીકરણ કરવું અનિવાર્ય બન્યું છે.
બોટાદમાં જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક:નાયબ કલેક્ટરે સંકલિત કામગીરી કરવા સૂચના આપી
બોટાદ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ (વાસ્મો)ની 27મી બેઠક નાયબ કલેક્ટર મેહુલકુમાર પાંડોરની અધ્યક્ષતામાં યોજાઈ હતી આ બેઠકમાં નાયબ કલેક્ટરે પાણી પુરવઠા અને સ્વચ્છતા સેવાઓને વધુ અસરકારક બનાવવા માટે તમામ સંબંધિત વિભાગોને સંકલિત રીતે કાર્ય કરવાની સૂચના આપી હતી .બેઠક દરમિયાન, જિલ્લામાં પાણી પુરવઠા અને સ્વચ્છતા સંબંધિત વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી. બેઠકની શરૂઆતમાં, સમિતિની 26મી બેઠકની કાર્યવાહી નોંધને વાંચીને બહાલી આપવામાં આવી હતી ત્યારબાદ, ગ્રામ્ય કક્ષાની આંતરિક પાણી પુરવઠા યોજનાઓની મરામત અને નિભાવણીની કામગીરી પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળી (PACS) તથા સેલ્ફ હેલ્પ ગ્રુપ (SHG) મારફત હાથ ધરવા અંગે ચર્ચા થઈ. 'ઓગમેન્ટેશન ઇન ટેપ કનેક્ટિવિટી ઇન રૂરલ એરિયા (જનરલ)' કાર્યક્રમ હેઠળ પ્રગતિ હેઠળની યોજનાકીય કામગીરીની સમીક્ષા કરીને કામોની ગતિ ઝડપી કરવા જરૂરી સૂચનાઓ અપાઈ હતી આ બેઠકમાં ગ્રામ્ય કક્ષાના પંપ ઓપરેટરોને હેડ વર્ક્સ ખાતે તાલીમ આપવાની બાબતે પણ ચર્ચા કરવામાં આવી. ઉપરાંત, 0 થી 30 ટકા પાણી વેરા વસૂલાત ધરાવતાં ગામોની સમીક્ષા કરીને વેરા વસૂલાત વધારવા માટે પ્રોત્સાહક પગલાં અંગે માર્ગદર્શન અપાયું હતું પાણી વેરા વસૂલાત પ્રોત્સાહન યોજના, ગતિ શક્તિ પોર્ટલ પર થયેલી એન્ટ્રીઓની સમીક્ષા તેમજ પાણી પુરવઠા સંબંધિત ફરિયાદો અને તેના નિવારણ અંગેની વિગતો પર પણ બેઠકમાં ચર્ચા થઈ. આ ઉપરાંત, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ફેઝ-2ના સુચારુ અમલીકરણ માટેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી અને 'જલ અર્પણ દિવસ' માટે ગામો નક્કી કરવા અંગે પણ નિર્ણયાત્મક ચર્ચા કરવામાં આવી હતી.
વલસાડમાં યોજાશે કોંગ્રેસની જન આક્રોશ રેલી:મજદૂર અને આદિવાસીઓના પ્રશ્નો ઉઠાવાશે
વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠકમાં આગામી ‘જન આક્રોશ રેલી’ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં રેલીની સંપૂર્ણ રૂપરેખા તૈયાર કરીને કાર્યકરોને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ રેલી કપરાડાથી શરૂ થઈ ઉમરગામ અને વાપી માર્ગે પસાર થઈ અંતે વલસાડ ખાતે પૂર્ણ થશે. આ રેલીમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અમિત ચાવડા, તુષાર ચૌધરી અને ઓલ ઈન્ડિયા કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક વિશેષ હાજરી આપશે. રેલી દરમિયાન જિલ્લાના અનેક લોકપ્રશ્નો સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે. જેમાં કપરાડા જેવા આદિવાસી વિસ્તારોમાં ‘નલ સે જલ’ યોજનાની નિષ્ફળતા, ફોરેસ્ટ લેન્ડ અને શીરપડા જમીન સંબંધિત આદિવાસીઓના અધિકારો જેવા મુદ્દાઓ મુખ્ય રહેશે. આ ઉપરાંત, વાપી વિસ્તારમાં ઔદ્યોગિક પ્રદૂષણ અને અતુલ, ગુંડલાવ તેમજ વાપીના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા આશરે 2000 જેટલા મજદૂર શ્રમિકોના પ્રશ્નો પણ ઉઠાવવામાં આવશે. કોંગ્રેસે જણાવ્યું હતું કે આગામી 3જી તારીખે બપોરે 12 વાગ્યે વલસાડ ખાતે આ રેલી જન આક્રોશ સભામાં રૂપાંતરિત થશે. સભા બાદ જિલ્લાના વિવિધ લોકપ્રશ્નોને આવરી લેતું એક વિસ્તૃત આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સુપરત કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા આ મુદ્દાઓને આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકોમાં પણ એજન્ડા તરીકે રજૂ કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે.
બોટાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા પાળીયાદ પોલીસ સ્ટેશન વિસ્તારની કન્યાશાળા ખાતે શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સલામતી અંગે જાગૃતિ લાવવાનો તેમજ તેમને સચેત અને જવાબદાર નાગરિક તરીકે વિકસાવવાનો હતો. કાર્યક્રમ અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ટ્રાફિક સલામતી, બાળ સુરક્ષા અને સામાજિક જાગૃતિ જેવા વિષયોને આધારે સુંદર ચિત્રો રજૂ કર્યા હતા. આ પ્રસંગે બાળકોને ટ્રાફિક અવેરનેસ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા તથા માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના પાલનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને ‘ગુડ ટચ–બેડ ટચ’, સાયબર સુરક્ષા, મહિલા અને બાળ સુરક્ષા વિષયક જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પોલીસ વિભાગની પ્રાથમિક કામગીરી, ફરજો અને જવાબદારીઓ અંગે પણ વિદ્યાર્થીઓને સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું હતું, જેથી તેઓ કોઈપણ સંકટની પરિસ્થિતિમાં યોગ્ય રીતે મદદ મેળવી શકે. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા બાળકોમાં આત્મવિશ્વાસ, જાગૃતિ અને સલામતી અંગે સકારાત્મક વિચારસરણી વિકસે તે દિશામાં મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
બોટાદમાં મતદાર યાદી વિવાદ: કલેક્ટરને આવેદન:ખોટા ફોર્મ 7 ભરનારા સામે કડક કાર્યવાહીની માગ
બોટાદ શહેરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન ઉભા થયેલા વિવાદને લઈને મોટી સંખ્યામાં લોકોએ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, 1626 જેટલા લોકોના નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા હોવાની નોટિસ આપવામાં આવી હતી. આ બાબતે અસરગ્રસ્ત મતદારો અને સમાજના આગેવાનોએ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ખોટી રીતે ભરાયેલા ફોર્મ 7 દ્વારા ખાસ કરીને મુસ્લિમ સમાજના લોકોને બંધારણ દ્વારા મળેલા મતાધિકારથી વંચિત રાખવાનો પ્રયાસ કરાયો છે. આવેદનપત્રમાં ખોટા ફોર્મ ભરનાર જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. ઉપરાંત, સાચા મતદારોના નામ મતદાર યાદીમાં યથાવત્ રાખવાની પણ માગ ઉઠાવવામાં આવી હતી. બોટાદ જિલ્લા મુસ્લિમ સમાજના આગેવાન મકસુદભાઈ શાહે કલેક્ટર કચેરી ખાતેથી આ અંગે માહિતી આપી હતી. મામલાને લઈને પ્રશાસન દ્વારા યોગ્ય તપાસ કરી ન્યાય આપવાની ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
વઢવાણના કંસારા બજારમાં પાઈપલાઈન લીકેજને કારણે હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. મહાનગરપાલિકા દ્વારા સમારકામ માટે ખોદવામાં આવેલા ખાડાઓ બે મહિનાથી ખુલ્લા પડ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોની ફરિયાદ હતી કે વઢવાણ શહેરમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળીને આવતું હતું. આ સમસ્યાના નિરાકરણ માટે અને લીકેજ પાઈપલાઈન રિપેર કરવા મહાનગરપાલિકા દ્વારા 'નલ સે જલ' યોજના અંતર્ગત કંસારા બજારમાં પાંચથી વધુ મોટા ખાડા ખોદવામાં આવ્યા હતા. જોકે, આ ખાડાઓ ખોદ્યા બાદ છેલ્લા બે મહિનાથી કોઈ સમારકામ કામગીરી થઈ નથી. પરિણામે, વાહનચાલકો, રાહદારીઓ અને સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શિયાળામાં પણ ચોમાસા જેવો માહોલ જોવા મળે છે, જ્યાં પાણીની રેલમછેલ થાય છે. ખાસ કરીને, કટોકટીની સ્થિતિમાં દર્દીઓને હોસ્પિટલ લઈ જતી 108 એમ્બ્યુલન્સ ઘણીવાર આ ખાડાઓમાં ફસાઈ જાય છે. અનેક વાહનચાલકો પણ આ ખાડાઓમાં ખાબક્યા હોવાના બનાવો બન્યા છે. પાણી વિતરણના સમયે તો કંસારા બજારમાં પાણીની નદીઓ વહેતી જોવા મળે છે. વઢવાણના રહેવાસીઓ મહાનગરપાલિકા તંત્ર પાસે તાત્કાલિક આ કામગીરી પૂર્ણ કરીને ખાડાઓ પૂરવાની માંગ કરી રહ્યા છે, જેથી તેમની મુશ્કેલીઓનો અંત આવે.
આકાશવાણી ગોધરા પર યુવવાણી કાર્યક્રમ:‘ખિસ્સા ખર્ચી અને યુવાનો’ પર આશિષ બારીઆનો વાર્તાલાપ પ્રસારિત થશે
આકાશવાણી ગોધરાના યુવવાણી કાર્યક્રમમાં 31 જાન્યુઆરી, 2026ના રોજ સાંજે 5:30 કલાકે ‘ખિસ્સા ખર્ચી અને યુવાનો’ વિષય પર એક વિશેષ વાર્તાલાપ પ્રસારિત થશે. FM 102.2 પર પ્રસારિત થનારા આ કાર્યક્રમમાં ગોધરા તાલુકાના યુવા વક્તા આશિષ બારીઆ યુવાનોના ખિસ્સા ખર્ચીના મનોવિજ્ઞાન અને તેના સંભવિત જોખમો વિશે જાણકારી આપશે. પ્રાપ્ત માહિતી અનુસાર, આશિષ બારીઆ તેમના વાર્તાલાપમાં એવા પાસાઓ પર પ્રકાશ પાડશે જે આજના યુવાનો અને વાલીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. તેમાં ખિસ્સા ખર્ચી યુવાનને આત્મનિર્ભર બનાવે છે કે કોઈ મોટા સંકટ તરફ દોરી જાય છે, ડિજિટલ પેમેન્ટના યુગમાં યુવાનોના અણધાર્યા ખર્ચાઓ અને સોશિયલ મીડિયાની દેખાદેખી પાછળની વાસ્તવિકતા જેવા ગૂઢ પ્રશ્નોના જવાબો રજૂ કરાશે. આ કાર્યક્રમ વાલીઓ માટે પણ માર્ગદર્શક બની રહેશે કે સંતાનોને અપાતી ખિસ્સા ખર્ચી કઈ રીતે તેમના ભવિષ્યનું ઘડતર કરી શકે છે. વાર્તાલાપમાં કેટલીક એવી યોજનાઓ અને રહસ્યો રજૂ કરાશે, જે સાંભળ્યા પછી યુવા શ્રોતાઓનો પૈસા જોવાનો નજરિયો બદલાઈ શકે છે.
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા ખાતે અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા સહભાગી ગ્રામીણ મુલ્યાંકન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને ગ્રામીણ સંસ્થાઓની કાર્યપ્રણાલી સમજાવવા માટે યોજાયો હતો. આ આયોજન યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. હરિભાઈ કાતરીયાના માર્ગદર્શન અને અધ્યક્ષપણા હેઠળ થયું હતું. સમાજશાસ્ત્ર વિષયના સેમેસ્ટર-૨ અને ૪ના ૬૫ જેટલા વિદ્યાર્થીઓને ગોધરા તાલુકાના વેગનપુર ગામ ખાતે લઈ જવામાં આવ્યા હતા. વેગનપુર ગામ ખાતે વિદ્યાર્થીઓએ પ્રાથમિક શાળા, ગ્રામ પંચાયત, સરકારી અનાજની દુકાન અને આંગણવાડીની મુલાકાત લીધી હતી. તેમને આ સંસ્થાઓની લોકભાગીદારી, જન સહયોગ, જન વિકાસ અને જન કલ્યાણ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સંસ્થાઓની સામાજિક ભૂમિકા અને જવાબદારીઓ વિશે પ્રાથમિક શાળાના શિક્ષક મનોજભાઈ પટેલ અને પ્રિન્સિપાલ મનીષાબેન દ્વારા વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સમાજશાસ્ત્ર વિભાગના અધ્યાપકો પણ જોડાયા હતા.
મોરબીમાં દબાણ હટાવવા સામે વેપારીઓનો ચક્કાજામ:મહાપાલિકા વેપારી સંગઠનો સાથે બેઠક કરી નિયમો સમજાવશે
મોરબી મહાનગરપાલિકા દ્વારા તખ્તસિંહજી રોડ, ગાંધીચોક અને રેલવે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન કેટલાક દુકાનદારોનો માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો, જેના વિરોધમાં વેપારીઓએ ચક્કાજામ કર્યો હતો. કાર્યવાહીના વિરોધમાં રોષે ભરાયેલા વેપારીઓ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતિભાઈ પટેલ અને કોંગ્રેસના શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાની આગેવાની હેઠળ મહાપાલિકા કચેરી પહોંચ્યા હતા. ત્યાં તેમણે ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળાને રજૂઆત કરી હતી. વેપારીઓની મુખ્ય માંગણી હતી કે તેમનો જપ્ત કરાયેલો માલ તાત્કાલિક મુક્ત કરવામાં આવે. આ ઉપરાંત, તેમણે મહાપાલિકા તરફથી દબાણ અંગેના નિયમો અને દંડ વિશે જરૂરી માર્ગદર્શન અને માહિતી આપવાની પણ અપીલ કરી હતી. ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળાએ વેપારીઓને ખાતરી આપી હતી કે જ્યારે ચેમ્બર ઓફ કોમર્સ બેઠકનું આયોજન કરશે, ત્યારે મહાપાલિકાના અધિકારીઓ તેમાં હાજર રહેશે. આ બેઠકમાં તેઓ દબાણ અંગેના નિયમો અને દંડ વિશે વિગતવાર માહિતી આપશે. મહાપાલિકાની આ ખાતરી બાદ વેપારીઓએ પોતાનો ચક્કાજામ સમાપ્ત કર્યો હતો અને રસ્તો વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવ્યો હતો.
મોરબી નજીક ડીઝલ ચોરીનો મામલો:વધુ બે આરોપીની ધરપકડ; કાર જપ્ત
મોરબીના ગાળા અને બાદરગઢ ગામ પાસે વાહનોમાંથી ડીઝલ ચોરીના ગુનામાં પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કાર પણ જપ્ત કરી છે. અગાઉ આ કેસમાં બે આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. કુલ 970 લિટર ડીઝલની ચોરી થઈ હતી. મોરબી-માળિયા હાઈવે પર ગાળા અને બહાદુરગઢ ગામના પાટિયા પાસે રાત્રિના સમયે સ્વિફ્ટ ગાડીમાં આવેલા અજાણ્યા શખ્સોએ વાહનોની ડીઝલ ટેન્ક તોડી ચોરી કરી હતી. આ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ ફરિયાદો નોંધાઈ હતી. પોલીસે અગાઉ અયુબ મલુક સમા અને પ્રદીપભાઈ અમુભાઈ મિયાત્રાની ધરપકડ કરી હતી. તેમની પાસેથી 175 લિટર ચોરીનું ડીઝલ (કિંમત રૂ. 15,750) અને ડીઝલ વેચીને મેળવેલા રૂ. 47,500 મળી કુલ રૂ. 63,250નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. અગાઉના આરોપીઓની પૂછપરછમાં અસલમ ઉર્ફે અનવર કમાલ સમાનું નામ સામે આવ્યું હતું. હાલમાં તાલુકા પોલીસે અસલમભાઈ ઉર્ફે અનવરભાઈ કમાલમિશ્ર સમા અને ઉસ્માણભાઈ મલેકભાઈ સમા (બંને રહે. માધાપર જુનાવાસ, તા. ભુજ)ની ધરપકડ કરી છે. તેમની પાસેથી ડીઝલ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી સ્વિફ્ટ ગાડી (નંબર GJ 12 CD 0070) કિંમત રૂ. 3 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આરોપીઓ હાઈવે રોડ પર અને પાર્કિંગમાં ઉભેલા વાહનોને નિશાન બનાવી ડીઝલ ટેન્ક તોડી ચોરી કરતા હતા. આ કામગીરી તાલુકા પીઆઈ એસ.કે. ચારેલની સૂચના મુજબ પીએસઆઈ એસ.એચ. ભટ્ટ અને તેમની ટીમે કરી હતી.
જામનગરમાં જર્જરીત ઇમારતનો ભાગ ધરાશાયી:એક મહિલા ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ
જામનગરના મચ્છનગર વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના ત્રણ માળિયા જર્જરીત મકાનનો અમુક ભાગ ધરાશાયી થયો છે. આ ઘટનામાં એક મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી, જેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ત્રણ માળિયા ફ્લેટો લાંબા સમયથી જર્જરીત હાલતમાં હતા. આજે બપોરના સમયે અચાનક જ મકાનના પારાપેટ અને છજ્જાનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો. ધરાશાયી થવાના કારણે ક્રિષ્નાબા ઘનશ્યામસિંહ જાડેજા નામની વૃદ્ધ મહિલા ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફત જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તંત્ર દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
નવસારી: બીલીમોરા પોલીસે લીમડાચોક વિસ્તારમાં એક મકાન પર દરોડો પાડી ગાંજાના વેચાણના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળ પરથી 500 ગ્રામથી વધુ ગાંજા સાથે 51 વર્ષીય એક વ્યક્તિની ધરપકડ કરી NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીલીમોરા પીઆઇ જે.વી. ચાવડા અને તેમની ટીમને ગુપ્ત બાતમી મળી હતી કે લીમડાચોકમાં આવેલા એક મકાનમાંથી કેફી પદાર્થનું વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે, પોલીસે પંચોને સાથે રાખી 51 વર્ષીય રાજુ બુદ્ધિસાગર વૈદ્યના ઘરે ઓચિંતો છાપો માર્યો હતો. તલાશી દરમિયાન, પોલીસને ઘરમાંથી 500 ગ્રામથી વધુ શંકાસ્પદ વનસ્પતિજન્ય પ્રતિબંધિત ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આ મુદ્દામાલ જપ્ત કરી આરોપી રાજુ વૈદ્ય વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી છે. પોલીસે કબજે કરેલા ગાંજાના જથ્થાને FSL પરીક્ષણ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે, જેના રિપોર્ટ બાદ તેની ચોક્કસ બજાર કિંમત નક્કી થશે. હાલમાં, પીઆઇ જે.વી. ચાવડા દ્વારા આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ આ નશીલો પદાર્થ ક્યાંથી લાવવામાં આવ્યો હતો, આ નેટવર્ક પાછળ અન્ય કોઈ મોટા સપ્લાયરની સંડોવણી છે કે કેમ, અને આરોપી આ જથ્થો સ્થાનિક યુવાનો કે અન્ય નાના વિક્રેતાઓને સપ્લાય કરતો હતો કે કેમ તે દિશામાં તપાસ કરી રહી છે. પોલીસ સૂત્રો અનુસાર, રાજુ વૈદ્ય આ નેટવર્કની માત્ર એક કડી હોઈ શકે છે. પોલીસ હવે ડ્રગ્સના મૂળ સુધી પહોંચવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સ્થાનિક સ્તરે આ નશીલા પદાર્થના ગ્રાહકો કોણ હતા અને આ નેટવર્ક કેટલા સમયથી કાર્યરત હતું, તે દિશામાં પણ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ ધરપકડો અને નવા ખુલાસા થવાની શક્યતા છે.
બગદાણાના કોળી યુવાન નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલા કેસમાં ન્યાય માટે કોળી સમાજ દ્વારા 1 ફેબ્રુઆરીએ ભાવનગરમાં ન્યાય સભાનું આયોજન કર્યું છે. આ ન્યાય સભામાં ભોગ બનનાર નવનીત બાલધિયા પણ હાજર રહેશે. નવનીત બાલધિયા પર થયેલા હુમલા બાદ માયા આહીરના પુત્ર જયરાજ આહીર સામે કાર્યવાહી માગ કરવામાં આવી હતી. ભારે વિરોધ પ્રદર્શન બાદ જયરાજની ધરપકડ કરી જેલ હવાલે કરી દેવાયો છે. ત્યારે હવે કોળી સમાજ દ્વારા આ કેસમાં ઢીલી તપાસ કરનાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી રહ્યા છે. ન્યાય સભાને લઈ ભાવનગર શહેરમાં બેનરો લાગ્યાકોળી સમાજમાં યુવક નવનીત બાલધીયાને ન્યાયની માંગ સાથે છેલ્લા બે દિવસ થી શહેરના અનેક વિસ્તારોમાં બેનરો લાગી રહ્યા છે, ત્યારે લોક મુખે તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું હતું કે નવનીત બાલધિયા અને કોળી સમાજની મુખ્ય માંગણી હતી કે આ બનાવમાં જયરાજ આહીર ની સંડોવણી છે તે તપાસ થાય. તે બાબતને લઈ SIT ટીમે જયરાજ આહીરને ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે. ત્યારે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી એ પણ જણાવ્યું હતું કે, હવે કોઈ સભાની જરૂર નથી. તેમ છતાં કોળી સમાજના યુવા આગેવાનો દ્વારા ભાવનગર શહેરના અક્ષરપાર્ક ખાતે સભાનું આયોજન કર્યું છે, જેમાં યુવા આગેવાનો દ્વારા રાત્રીના શહેરમાં ઠેર-ઠેર સભાઓ કરી કોળી સમાજના લોકો ને સભામાં ઉપસ્થિત રહેવા આહવાન કરવામાં આવી રહ્યું છે. સરકારનો આભાર માનવા નવનીત બાલધિયા ન્યાય સભામા હાજર રહેશેજ્યારે આ અંગે બગદાણાના કોળી સમાજના યુવક નવનીત બાલધીયાએ દિવ્યભાસ્કર સાથે ટેલિફોનિક વાતચીત માં જણાવ્યું હતું કે, હું ભાવનગર અક્ષરપાર્ક ખાતે ન્યાય સભામાં હાજર રહેવાનું છુ અને સભામાં સરકારનો આભાર માનવાનો છે. અને અમારા સમાજના આગેવાનો ની આભારવિધિ કરવાની છીએ. અને જે આ બનાવમાં પેલેથી DYSP મહુવા ચાર્જ માથી મુક્ત કરાયેલા રિમાબા ઝાલા, બે PI કે.એસ. પટેલ અને ડી.વી. ડાંગર કે જેઓએ પોલીસ પ્રશાશને ભૂલ કરી છે, તો એ દિશામાં યોગ્ય તપાસ થાય અને ભવિષ્યમાં આવી ભૂલ ન કરે એવી હું રિકવેસ્ટ કરું છું અને તેની યોગ્ય તપાસ થાય તેવી અમારી માંગણી છે. ન્યાયસભા માટે ભાવનગરમાં 200 સ્થળ પર બેનરો લાગ્યાબગદાણાના કોળી યુવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા પ્રકરણમાં માયા આહીરના પુત્ર જયરાજ આહીર સામે ગુનો નોંધી ધરપકડ કરાયા બાદ પણ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો. જયરાજ આહીર સામેની કાર્યવાહી બાદ પણ સમસ્ત કોળી-ઠાકોર સમાજે 1 ફેબ્રુઆરીએ ભાવનગરમાં ન્યાય સભા યોજવાની જાહેરાત કરી છે. જીતુ વાઘાણીના મત વિસ્તારમાં આયોજીત આ ન્યાય સભા માટે શહેરના અલગ અલગ 200 સ્થળે બેનર લગાવવામાં આવ્યા છે. કોળી સમાજના સાંસદ અને ધારાસભ્યોને પણ ન્યાય સભામાં હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
પંચમહાલ જિલ્લામાં નશીલા પદાર્થોના વેચાણ અને ઉત્પાદન વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને મોટી સફળતા મળી છે. મોરવા હડફ તાલુકાના સાગવાડા ગામે એક ખેતરમાંથી ગેરકાયદેસર વાવેતર કરેલા લીલા ગાંજાના છોડ ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પંચમહાલ SOG ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે સાગવાડા ગામના મનહર લક્ષ્મણભાઈ નીનામા નામના વ્યક્તિએ પોતાના ખેતરમાં અન્ય પાકની આડમાં લીલા ગાંજાનું વાવેતર કર્યું છે. આ બાતમીના આધારે SOG ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ખેતરમાંથી ગાંજાના કુલ છ મોટા લીલા છોડ મળી આવ્યા હતા, જેનું વજન આશરે 21 કિલોગ્રામ હતું. આ જપ્ત કરાયેલા ગાંજાના છોડની બજાર કિંમત અંદાજે 10.55 લાખ રૂપિયા આંકવામાં આવી છે. SOG ટીમે સમગ્ર મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી મનહર લક્ષ્મણભાઈ નીનામાની અટકાયત કરવામાં આવી છે. તેની વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી મોરવા હડફ પોલીસ મથકે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
વડોદરામાં નેશનલ હાઇવે 48 પર કાર અને બાઈક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. કાર રોડ પરથી સીધી ખેતરમાં પલ્ટી ખાઈને પડી છે તો બાઈક ચાલક પણ ટક્કરથી ફંગોળાઈને દૂર પડ્યો છે. સુંદરપુરા ગામ પાસે અકસ્માત થયો છે. કાયાવરોહણના કાર ચાલક ભાવેશ ગાંધી દીકરાની લગ્નની કંકોત્રીના કામે બહાર નીકળ્યા હતા. અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. મૃતકનું નામ મુકેશ ચૌહાણ હોવાનું સામે આવ્યુ છે અને તે કોટેશ્વર ગામનો રહેવાસી છે. સમગ્ર મામલે કપુરાઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
બનાસકાંઠા LCBએ દૂધના ટેન્કરમાંથી દારૂ ઝડપ્યો:18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, એક ઝડપાયો
બનાસકાંઠા એલસીબીએ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારના એરોમા સર્કલ પાસેથી દૂધ ટેન્કરમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ ₹18,16,082/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બોલેરો પીકઅપ પર બનાવેલા દૂધ ટેન્કર (નંબર: GJ08AU2460) માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 1787 બોટલો મળી આવી હતી. આ દારૂની કિંમત ₹8,05,582/- આંકવામાં આવી છે. વાહન સહિત કુલ ₹18,16,082/- નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા કડક સૂચનાઓ આપી હતી. આ સૂચનાઓના આધારે એલ.સી.બી. દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એલ.સી.બી. પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈ અને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. પટણીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ પાલનપુર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન મળેલી બાતમીના આધારે એરોમા સર્કલ ખાતેથી આરોપી હુરતાભાઈ ઉર્ફે સુરતાભાઈ પીરાજી ભીખાજી રબારી (ઉં.વ. 28, ધંધો- ડ્રાઈવિંગ, રહે. જુનીરોહ, તા. અમીરગઢ, જિ. બનાસકાંઠા) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપી તેમજ દારૂ ભરાવનાર અને મંગાવનાર તમામ વિરુદ્ધ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજ્યની હજારો આંગણવાડી બહેનો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતીય મજદૂર સંઘની સતત અને અસરકારક રજૂઆત બાદ રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ઠરાવ બહાર પાડી હવે રેશનિંગ દુકાન અથવા સરકારી ગોડાઉનથી આંગણવાડી કેન્દ્ર સુધી અનાજના જથ્થા વહન માટેના ખર્ચ પેટે પ્રત્યેક આંગણવાડી કેન્દ્રને રૂ.2400ની મર્યાદામાં રકમ ચૂકવવાનો હુકમ કર્યો છે. અનાજનો જથ્થો લાવવા કોઈ વહન ખર્ચ મળતો નહોતોઅત્યાર સુધી આંગણવાડી બહેનોને તેમના કેન્દ્રના નાના ભૂલકાઓ માટે રોજબરોજના નાસ્તા અને ભોજન માટે અનાજનો જથ્થો સરકારી ગોડાઉન પરથી લાવવા માટે કોઈપણ પ્રકારનો વહન ખર્ચ મળતો નહોતો. આ મુદ્દે ભારતીય મજદૂર સંઘ સંલગ્ન ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી મનીષાબેન વકીલ સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. સતત ફોલોઅપના પરિણામે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ નિર્ણયત્રણ બેઠકો, તા. 4 ઓગસ્ટ, 2025ના રોજ ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીની રેલી તેમજ તા. 10 નવેમ્બર 2025ના રોજ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા શ્રમિક આંદોલન બાદ ભારતીય મજદૂર સંઘના પ્રતિનિધિ મંડળ દ્વારા ગાંધીનગરમાં કરાયેલા સતત ફોલોઅપના પરિણામે આજે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. આંગણવાડી બહેનોને જથ્થો લાવવાની મોટી અડચણ દૂર થઈસરકારના આ હકારાત્મક અભિગમ બદલ ભારતીય મજદૂર સંઘ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી મનીષાબેન વકીલ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના સચિવ તેમજ ICDS વિભાગના કમિશનરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી આંગણવાડી બહેનોને જથ્થો લાવવાની મોટી અડચણ દૂર થઈ છે. બાકી રહેલા અન્ય પ્રશ્નો પર પણ સંવેદનશીલ નિર્ણય લેવા અનુરોધસરકારના આ નિર્ણયથી રાજ્યભરની આંગણવાડી બહેનોમાં આનંદ અને ખુશીની લાગણી જોવા મળી રહી છે. ભારતીય મજદૂર સંઘના પ્રદેશ અધ્યક્ષ જીગ્નેશ મજમુદાર તથા પ્રદેશ મહામંત્રી ગીરીશ પટેલે આ નિર્ણયને આવકારી સરકારને અભિનંદન પાઠવ્યા છે, સાથે જ બાકી રહેલા અન્ય પ્રશ્નો પર પણ સંવેદનશીલ નિર્ણય લેવા અનુરોધ કર્યો છે, તેમ ભારતીય મજદૂર સંઘના મીડિયા પ્રભારી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર અને લાઈફ સાયન્સ ભવનના સંયુક્ત ઉપક્રમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) વિષય પર એક વિશેષ વ્યાખ્યાન યોજાયું હતું. આ વ્યાખ્યાન ડીપાર્ટમેન્ટ ઓફ લાઈફ સાયન્સમાં વિજ્ઞાન વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ માટે આયોજિત કરાયું હતું, જેમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાંથી Ph.D. થયેલા અને સાહા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુક્લિયર ફિઝિક્સ, કોલકાતાના નિવૃત્ત વૈજ્ઞાનિક પ્રો. સંગમ બેનર્જીએ સંબોધન કર્યું હતું. પ્રો. બેનર્જીએ તેમના વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે આગામી સમય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો રહેશે. તેમણે યુવાનોને AI માટે તત્પર રહેવા પ્રોત્સાહિત કર્યા હતા, જેથી તેઓ આંગળીના ટેરવે દુનિયામાં આગળ વધી શકે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દરેક વિષયમાં AIનું વધતું મહત્વ શિક્ષણ ક્ષેત્રે નવા જ્ઞાનનો ઉમેરો કરશે. આ પ્રસંગે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પ્રો. કે.સી. પોરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના ઉદ્બોધનમાં માનવ મસ્તિષ્ક અને આધુનિક વિજ્ઞાનના સંદર્ભમાં વિદ્યાર્થીઓને મહત્વપૂર્ણ માહિતી આપી હતી. વિવિધ ભવનના અધ્યક્ષો અને અધ્યાપકો પણ આ વ્યાખ્યાનમાં હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા મહત્વના વિષયની માહિતી મળે તે હેતુથી ભૌતિકશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડૉ. દર્શન વ્યાસે કન્વીનર તરીકેની ભૂમિકા ભજવી હતી. યુનિવર્સિટીના રિસર્ચ એડવાઈઝર ડૉ. વિષ્ણુદાસ ઘોષના પ્રયત્નોથી ડૉ. સંગમ બેનર્જીને કોલકાતાથી પાટણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. ડૉ. હિમાંશુ બારીયા અને ડૉ. જીજ્ઞેશ ત્રિવેદીએ વ્યાખ્યાનના સફળ પ્રબંધનમાં સહયોગ આપ્યો હતો.
અમદાવાદ શહેરના નારોલ વિસ્તારની કેનાલમાં ગઈકાલે સાંજના સમયે એક અજાણ્યા યુવકની લાશ તરતી મળી આવી હતી. ધોળા દિવસે કેનાલના પાણીમાં મૃતદેહ જોવા મળતા સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ ઘટનાને લીધે મોટી સંખ્યામાં લોકોના ટોળા કેનાલ કાંઠે એકઠા થઈ ગયા હતા. મહત્ત્વનું છે કે, પોલીસે કેનાલમાંથી લાશ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી હતી. આ અંગે નારોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. લાશ તરતી હોવાની જાણ થતાં લોકોના ટોળા ઉમટી પડ્યાનારોલની કેનાલમાં લાશ તરતી હોવાની વાત ફેલાતા આસપાસના રહીશો અને પસાર થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ ઘટના અંગે તાત્કાલિક નારોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. દોરડાના સહારે કેનાલમાં ઉતરીને યુવકની લાશને બહાર કાઢીમૃતદેહને પાણીમાંથી બહાર કાઢવા માટે પોલીસે ભારે જહેમત ઉઠાવી હતી. પોલીસની ટીમે દોરડાના સહારે કેનાલમાં ઉતરીને યુવકની લાશને બહાર કાઢી હતી. ત્યારબાદ, 108 એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને મૃતકની તપાસ કરવા કાર્યવાહી હાથ ધરી છે. આ યુવકે આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરી લાશ ફેંકી દેવામાં આવી છે, તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
વિજાપુર તાલુકાના ખણુંસા ગામે પ્લોટના વિવાદ અને ઉછીના નાણાંની લેતીદેતી મામલે એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે સામસામે હથિયારો ઉછળતા ગામમાં ચકચાર મચી ગઈ છે. લોખંડની પાઇપ, ધારીયા અને લાકડાના ધોકા વડે થયેલી આ અથડામણમાં એક વ્યક્તિનો અંગૂઠો કપાઈ ગયો છે. જ્યારે અન્ય અનેક લોકોને ફેક્ચર સહિતની ગંભીર ઇજાઓ પહોંચતા વિજાપુર અને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મહેન્દ્રભાઈને જમણા હાથનો અંગૂઠો કપાઈ ગયોપ્રથમ પક્ષના મહેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ દેવીપૂજકે નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમણે ગામના જ અનિલભાઈ વાઘેલા પાસેથી 50 હજાર રૂપિયા ઉછીના લીધા હતા. જે નાણાં પરત ન આપી શકતા અનિલભાઈએ મહેન્દ્રભાઈના પ્લોટ પર મકાન બાંધવાનું શરૂ કર્યું હતું. આ વિવાદમાં ગત રોજ જૂના ઝઘડાની અદાવતમાં જીતેન્દ્ર કસ્તુરભાઈ સહિતના શખ્સોએ ધારીયા અને પાઇપ વડે હુમલો કર્યો હતો. જેમાં મહેન્દ્રભાઈને જમણા હાથે ધારીયું વાગતા તેમનો અંગૂઠો કપાઈ ગયો હતો. જ્યારે પરિવારના અન્ય સભ્યો બળદેવભાઈ, સુનિલભાઈ અને સુરેખાબેનને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેથી તેઓએ વિજાપુર પોલીસ મથકમાં ,જીતેન્દ્રભાઇ કસ્તુરભાઈ દેવીપૂજક,અનિલભાઇ કસ્તુરભાઈ દેવીપૂજક,ઘનશ્યામભાઈ જીતેન્દ્રભાઈ દેવીપૂજક,કસ્તુરભાઈ હીરાભાઈ દેવીપૂજક સામે ફરિયાદ નોંધાવી છે. પ્લોટ પર બાંધકામ શરૂ કરતા ઝઘડો થયોત્યારે સામે પક્ષે અનિલભાઈ કસ્તુરભાઈ વાઘેલાએ પણ મહેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ સહિતના ચાર શખ્સો સામે વળતી ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, ત્રણ વર્ષ અગાઉ તેમણે મહેન્દ્રભાઈ પાસેથી પ્લોટ વેચાણથી લીધો હતો, જેના પર બાંધકામ શરૂ કરતા મહેન્દ્રભાઈ અને તેમના સાથીદારોએ કામ બંધ કરાવી ઝઘડો કર્યો હતો. હુમલા દરમિયાન મનુભાઈ લક્ષ્મણભાઈએ અનિલભાઈના ભત્રીજાને માથામાં ધોકો માર્યો હતો, જ્યારે અન્ય શખ્સોએ લોખંડની પાઇપ અને ઉંધા ધારીયા વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ હિંસક અથડામણ બાદ ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર અર્થે ખસેડાયા હતા. વિજાપુર પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગામમાં ફરી આવી કોઈ ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. હાલમાં તેઓએ સુનિલભાઈ મનુભાઈ દેવીપૂજક, મહેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ દેવીપૂજક,મનુભાઈ લક્ષ્મણભાઈ દેવીપૂજક,બળદેવભાઈ લક્ષ્મણભાઇ દેવીપૂજક,વિનુભાઈ રમણભાઈ દેવીપૂજક સામે ફરિયાદ નોંધાવી છે
જૂનાગઢના ઐતિહાસિક નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફિકેશન ₹68 કરોડના ખર્ચે પૂર્ણ થયું છે. આ સરોવરનું લોકાર્પણ આજે સાંજે 4 વાગ્યે મુખ્યમંત્રીના હસ્તે થવાનું હતું, પરંતુ તે પહેલા જ મોટો વિવાદ ઊભો થયો છે. કારણકે મુખ્યમંત્રી આવવાની જાહેરાત થયાના 15 દિવસ પહેલા જ મીડિયાને પણ નરસિંહ મહેતા સરોવરમાં જવા દેવાની મનાઈ કરવામાં આવી હતી.વિપક્ષના નેતા લલિત પરસાણાએ આક્ષેપ કર્યો છે કે, સામાન્ય જનતા અને મીડિયા માટે સરોવરના દ્વાર બંધ હોવા છતાં સત્તાધારી પક્ષના પદાધિકારીઓએ તેમના સગા-સંબંધીઓ અને માનીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્ઝર્સ સાથે મળીને રાત્રે જ સરોવરની મોજ લૂંટી હતી. મીડિયા અને પર પ્રતિબંધ, માનીતાઓને છૂટછેલ્લા કેટલાક સમયથી મીડિયાકર્મીઓને સરોવરની અંદર જવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે, સરકારી માહિતી ખાતાના અધિકારીઓને પણ કમિશનરની પરવાનગી વગર પ્રવેશ મળતો નહોતો, ત્યારે પ્રાઈવેટ સોશિયલ મીડિયા યુઝર્સ અને પદાધિકારીઓના પરિવારોએ અંદર જઈને લાઈવ વીડિયો કર્યા હતા. 27 તારીખની રાત્રે જ આખા તળાવનો નજારો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવામાં આવ્યો હતો, જે મુખ્યમંત્રીની ગરિમા અને લોકાર્પણ વિધિના શિષ્ટાચારનો ભંગ હોવાનું વિપક્ષ માની રહ્યો છે. વિકાસના કામો હજુ અધૂરા હોવાના આક્ષેપલલિત પરસાણાએ માત્ર પ્રવેશ અંગે જ નહીં, પરંતુ કામગીરીની ગુણવત્તા અને વ્યવસ્થાપન સામે પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે, હજુ પણ બોટિંગ જેવી ઘણી સુવિધાઓની કામગીરી અધૂરી છે. આ ઉપરાંત, ઉપરકોટની સંભાળ રાખતી હેરિટેજ કંપનીએ આ તળાવના મેન્ટેનન્સ માટે નનૈયો ભણ્યો હોવાની વિગતો પણ સામે આવી છે. ભવિષ્યમાં સરોવરની ટિકિટ, પાર્કિંગ અને કોફી શોપ જેવી સુવિધાઓ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. માનીતા લોકોને સાથે રાખી ફોટો સેશન કરાતા વિપક્ષના પ્રહારવિપક્ષે માંગ કરી છે કે જો વિકાસ સાચો હોય તો તેને છુપાવવાની જરૂર કેમ છે? શાસક પક્ષે જૂનાગઢના સિનિયર સિટિઝનો અને તમામ પક્ષના આગેવાનોને સાથે રાખીને આ વિકાસ બતાવવો જોઈતો હતો. તેના બદલે માત્ર પોતાના માનીતા લોકો માટે સરોવર ખુલ્લું મૂકીને 'ફોટો સેશન' કરવામાં આવી રહ્યું છે. લોકાર્પણ પહેલા જ આ પ્રકારની મનમાનીથી જૂનાગઢના સામાન્ય નાગરિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે શાસક પક્ષના નેતા મનન અભાણી સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કાલે 5 વાગે બધાને છૂટ અપાય હતી પરંતુ છતાં પણ કોઈ દ્વારા જાણ કરાય છે કે નહીં તે મામલે જાણી લઉં. આ મામલે વોટર વર્ક શાખાના અધિકારી અલ્પેશ ચાવડાએ પોતાનો લુલ્લો બચાવ કરતા કહ્યું કે પદાધિકારીઓ તેની સાથે ઈન્ફ્યુલાન્ઝર લઈ ગયા હોય તો ખ્યાલ નથી,પરંતુ સાંજે બધાને છૂટ અપાય હતી.
રાજ્યમાં ઠંડીનો પ્રભાવ યથાવત છે, જોકે 26 જાન્યુઆરીના લઘુત્તમ તાપમાનની સરખામણીમાં છેલ્લા 24 કલાક દરમિયાન અનેક શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે વહેલી સવાર અને રાત્રિના સમયે ઠંડીનો અહેસાસ વધ્યો છે. હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં પણ ઠંડુ વાતાવરણ યથાવત રહેવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સમુદ્ર સપાટીથી 3.1થી 4.5 કિમી ઉપર ફેલાયેલુંઉત્તર પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે જોવામાં આવતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 4.5 કિમી ઉપર ફેલાયેલું છે. ઉત્તરપૂર્વ અરબી સમુદ્રથી ઉત્તર પંજાબ સુધી અને સૌરાષ્ટ્ર અને કચ્છ અને પશ્ચિમ રાજસ્થાનમાં દરિયાની સપાટીથી સરેરાશ 1.5 કિમી ઉપર સુધીનો ટ્રફ લાઇન પસાર થઈ રહી છે. આવતીકાલથી 3 દિવસ સુધી તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારોજ્યારે દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં દરિયાની સપાટીથી 1.5 કિમી ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ છે. જેના કારણે ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે. આજ માટે હવામાન વિભાગે જણાવ્યું હતું કે, તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. જે અનેક શહેરોમાં જોવા મળ્યો છે. જોકે આવતીકાલથી 3 દિવસ સુધી તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે. કયા શહેરોમાં કેટલા તાપમાનનો વધારો નોંધાયોઅમદાવાદમાં 26 જાન્યુઆરીએ લઘુત્તમ તાપમાન 17.2 ડિગ્રી હતું, જ્યારે છેલ્લા 24 કલાકમાં તે ઘટીને 13.6 ડિગ્રી થયું છે, એટલે કે નોંધપાત્ર ઠંડક અનુભવી છે. વડોદરામાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે, જ્યાં તાપમાન 19 ડિગ્રીથી ઘટીને 11.8 ડિગ્રી થયું છે. ભાવનગરમાં 18 ડિગ્રીથી ઘટીને 13.6 ડિગ્રી, દમણમાં 17.2 ડિગ્રીથી ઘટીને 15.2 ડિગ્રી અને ડીસામાં 14.6 ડિગ્રીથી ઘટીને 10.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. રાજકોટમાં પણ ઠંડીમાં વધારો થયો છે, જ્યાં 11.4 ડિગ્રીથી ઘટીને 10.7 ડિગ્રી તાપમાન રહ્યું છે. સુરતમાં 18 ડિગ્રીથી ઘટીને 15.1 ડિગ્રી અને વેરાવળમાં 17.8 ડિગ્રીથી ઘટીને 14.8 ડિગ્રી નોંધાયું છે. નલિયામાં છેલ્લા 24 કલાક દરમિયાન તાપમાન 7 ડિગ્રી આસપાસ રહ્યુમબીજી તરફ અમરેલીમાં બંને દિવસ તાપમાન સ્થિર રહી 12 ડિગ્રી જ નોંધાયું છે, જ્યારે ભુજમાં 11 ડિગ્રી બંને સમયગાળામાં સમાન રહ્યું છે. દ્વારકામાં 14.2 ડિગ્રીથી થોડો વધારો થઈ 14.3 ડિગ્રી નોંધાયો છે. કચ્છના નલિયામાં 26 જાન્યુઆરીએ 9.4 ડિગ્રી હતું, જ્યારે છેલ્લા 24 કલાકમાં તાપમાન વધુ ઘટીને 7 ડિગ્રી નોંધાયું છે, જે રાજ્યમાં સૌથી ઓછું છે. કંડલામાં તાપમાન 12.7 ડિગ્રીથી વધીને 13.3 ડિગ્રી થયું છે, જ્યારે ઓખામાં 16.5 ડિગ્રીથી વધીને 17.8 ડિગ્રી નોંધાયું છે.
ડાંગ જિલ્લાના સાપુતારા-શામગહાન ઘાટ માર્ગ પર આજે (28 જાન્યુઆરી) એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. નાશિકથી જોધપુર તરફ જઈ રહેલી સૈન્યની એક ગાડી વળાંક પર કાબૂ ગુમાવતાં પલટી ગઈ હતી. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગાડીમાં સવાર 13 જવાન પૈકી 9 જવાનને ઈજાઓ પહોંચી છે. જેમાં 3 જવાનની હાલત ગંભીર છે. કપરા વળાંકો ઉતરતી વખતે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યોપ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય સૈન્યનો કાફલો મહારાષ્ટ્રના નાશિકથી રાજસ્થાનના જોધપુર તરફ જઈ રહ્યો હતો. આ ગાડીમાં સૈન્યની તોપ પણ લાદેલી હોવાનું જાણવા મળ્યું છે. સાપુતારાના ડુંગરાળ વિસ્તારના કપરા વળાંકો ઉતરતી વખતે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ગાડી રસ્તા પર જ પલટી ખાઈ ગઈ હતી. તમામ ઈજાગ્રસ્ત જવાનોને આહવા સિવિલ ખસેડાયાઅકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકો અને ડાંગ જિલ્લા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ઘાયલ જવાનોને તુરંત 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકના શામગહાન સીએસસી (CSC) સેન્ટર ખાતે પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ વધુ સારવાર માટે તમામ ઈજાગ્રસ્ત જવાનોને આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘાટ માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ અકસ્માતને પગલે ઘાટ માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને હળવો કરવા માટે પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. સૈન્યની ગાડીમાં સંરક્ષણ સાધન (તોપ) હોવાથી સુરક્ષાના પણ કડક પગલાં લેવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગરમાં જનરલ સ્ટોરમાં આગ લાગી:શોર્ટ સર્કિટથી લાગી, ફાયર વિભાગે કાબૂમાં લીધી
સુરેન્દ્રનગરના નવા સર્કિટ હાઉસ નજીક આવેલા એક જનરલ સ્ટોરમાં આગ લાગી હતી. આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરાઈ હતી. માહિતી મળતાં જ ફાયર વિભાગના અધિકારી દેવાંગ દુધરેજીયા, રાહુલ ડોડીયા, વિશ્વજીત સોલંકી, મુકેશ સાકરિયા, ભગીરથસિંહ ઝાલા સહિતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ટેન્ડર અને ફાયર ફાઈટરની મદદથી પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવામાં આવી હતી. પ્રાથમિક તપાસ અનુસાર, આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે. આગને કારણે જનરલ સ્ટોરમાં મોટા પાયે નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
બોટાદમાં માર્ગ સલામતી ચિત્રસ્પર્ધા યોજાઈ:વિદ્યાર્થીઓમાં જાગૃતિ માટે ARTO અને ટ્રાફિક પોલીસનો પ્રયાસ
શ્રી જવાહર નવોદય વિદ્યાલય ખાતે માર્ગ સલામતી વિષયક ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનું આયોજન એ.આર.ટી.ઓ. બોટાદ અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે કરાયું હતું. તેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવાનો અને તેમને જવાબદાર નાગરિક બનાવવાનો હતો. સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ માર્ગ સલામતી, ટ્રાફિક નિયમો, સલામત વાહન ચલાવવા અને અકસ્માત નિવારણ જેવા વિષયો પર ચિત્રો બનાવ્યા હતા. શ્રેષ્ઠ ચિત્રો માટે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ જાહેર કરાયા હતા. વિજેતાઓને ડ્રોઇંગ કિટ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે પેન આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અંદાજે 150 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન, એ.આર.ટી.ઓ. બોટાદના અધિકારી આર.પી. દાણીએ વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે વિગતવાર સમજૂતી આપી હતી. તેમણે ટ્રાફિક નિયમોના પાલનનું મહત્વ, સલામત વાહન ચલાવવું, હેલ્મેટ અને સીટબેલ્ટનો ઉપયોગ તેમજ માર્ગ અકસ્માતથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આવા કાર્યક્રમો દ્વારા બાળકોમાં માર્ગ સલામતી અંગે સકારાત્મક વિચારસરણી વિકસાવવા માટે મહત્વપૂર્ણ પ્રયાસ કરાયો છે.
ભાવનગરમાં નિલમબાગ પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન રેલવે સ્ટેશન રોડ પર જાહેર સ્થળે તીનપત્તીનો જુગાર રમતા છ ઇસમોને રંગે હાથ ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 15,100 રોકડા અને ગંજીપતાના પાનાઓ જપ્ત કર્યા છે. આ મામલે નિલમબાગ પોલીસ મથકમાં જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધાતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નિલમબાગ પોલીસ મથકથી મળતી માહિતી મુજબ, તા. 27 જાન્યુઆરીની રાત્રે નિલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ દરમ્યાન અલ્કાગેટ પોલીસ ચોકી પાસે પહોંચતા બાતમી મળી હતી કે, રેલ્વે સ્ટેશન રોડ પર પટેલ બોડિંગની સામે જાહેર સ્થળે અમુક ઇસમો સ્ટ્રીટલાઇટના અજવાળે ગોળ કુંડાળુ વળી ગંજીપતાના પાનાથી પૈસા વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે નિલમબાગ પોલીસે સ્થળ પર રેડ કરી હતી, જેમાં ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા છ ઇસમો મળી આવતા તેને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે રેડ દરમ્યાન સોહિલભાઈ મજીદભાઈ બેલીમ, સલીમ ઉર્ફે રોટલી રહીમભાઈ મલેક, રહીમભાઈ દિલાવરભાઈ બેલીમ, સાદિકભાઈ ચાંદભાઈ સૈયદ, ઇલ્યાસ ઉર્ફે ઇલો રઝાકભાઈ બેલીમ અને નાસીરભાઈ સિકંદરભાઈ પઠાણ ને ઝડપી લીધા હતા, પોલીસ રેઇડ દરમ્યાન આરોપીઓ પાસેથી કુલ રૂ. 15,100 રોકડા તેમજ ગંજીપતાના પાનાઓ મળી કુલ રૂ. 15,100નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ નિલમબાગ પોલિસ મથકમાં જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદના ઐતિહાસિક ગણાતા એવા ત્રણ દરવાજાથી લઈ પાનકોરનાકા સુધીના દુકાનદારોના વાહનો ટ્રાફિક પોલીસ દ્વારા ગઈકાલે 27 જાન્યુઆરીના રોજ ટોઈંગ કરી લેવામાં આવ્યા હતા. પાર્કિંગના બોર્ડ હોવા છતાં પણ વાહનો ઉપાડી લેવાના વિરોધમાં ગઇકાલ સાંજથી દુકાનો બંધ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો ત્યારે આજે 28 જાન્યુઆરીના રોજ પણ સવારથી ત્રણ દરવાજાથી લઈ પાનકોર નાકા સુધીની 120 થી વધુ દુકાનના માલિકો દ્વારા દુકાનો બંધ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો છે. ત્રણ દરવાજાથી અંકુર નાકા વેપારી એસોસિએશનના આગેવાનો અને વેપારી એસોસિએશનના આગેવાન દ્વારા આજે ટ્રાફિક ડીસીપીને મળીને આ મામલે રજૂઆત કરવા પહોંચ્યા છે. શ્રી અમદાવાદ વેપારી મહા સંગઠનના આગેવાન મેઘરજ ડોડવાણીએ જણાવ્યું હતું કે આજે ત્રણ દરવાજાથી પાનકોર નાકા સુધીના વેપારીઓ દ્વારા આજે પણ દુકાનો બંધ કરવામાં આવી છે. બપોરે ટ્રાફિક ડીસીપીને મળીને રજૂઆત કરીશું જે બાદ દુકાનો ખોલવી કે બંધ રાખવી તે અંગે નિર્ણય લઈશું. 120 વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યોઆજે 28 જાન્યુઆરીના રોજ સવારથી જ ત્રણ દરવાજાથી લઈ અને પાનકોરનાકા વિસ્તારમાં દુકાનદારોએ દુકાનો બંધ રાખી છે. ઘરવખરીની ચીજ વસ્તુઓ, હોઝીયરીથી લઈને અલગ અલગ સામાનની કુલ 125 જેટલી દુકાનો આવેલી છે આ તમામ દુકાનો આજે બીજા દિવસે પણ બંધ રાખવામાં આવી છે. ત્રણ દરવાજાથી પાનકોરનાકા સુધી પાછળના વાળાઓ બેસતા હતા તે દૂર કરી દેવામાં આવ્યા છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડી પણ સતત ત્યાં રાખવામાં આવી રહી છે. જેના કારણે થઈને અત્યારે હાલ પૂરતો ત્યાં દબાણો દૂર થઈ ગયા છે જોકે વેપારીઓની ગાડીઓ ટોઈંગ કરી લેવામાં આવતા વેપારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. પાથરણા દૂર કરવાની સાથે વાહનો ટોઈંગ કરાતા વિવાદત્રણ દરવાજાથી લઈને પાનકોરનાકા સુધી ગેરકાયદેસર રીતે કેટલાક પથારાવાળાઓ બેસી જતા હોવાના કારણે દુકાનદાર વેપારીઓને ધંધો થતો નથી અને ટ્રાફિકની સમસ્યા સર્જાય છે એવી ફરિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. જેની ફરિયાદ બાદ ગઈકાલે 27 જાન્યુઆરીના મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા દબાણો દૂર કરાયા હતા. જોકે ટ્રાફિક પોલીસ દ્વારા રોડ ઉપર વાહન પાર્કિંગ નથી તેમ કહી વેપારીઓ અને ગ્રાહકોના વાહનો ઉપાડી લીધા હતા. જોકે મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિંગના ત્યાં બોર્ડ લાગેલા છે છતાં પણ વાહનો ઉપાડી લેવામાં આવ્યા હતા. જોકે પાનકોરનાકાથી માણેકચોક સહિતના વિસ્તારોમાં પણ લારીઓ અને પાથરણાના તેમજ વાહનોના દબાણો છે જેને દૂર નથી કરાતા જે અંગે સ્થાનિક વેપારીઓ દુકાનો બંધ કરી કારંજ પોલીસ સ્ટેશનમાં ભેગા મળી રજૂઆત કરવા ગયા હતા ત્યારે પોલીસ અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ત્યાં પાર્કિંગ નથી. તેઓએ રજૂઆત કરી હતી કે છેલ્લા 70 વર્ષથી અહીંયા ધંધો કરીએ છીએ અને અમારું અહીંયા પાર્કિંગ છે જ ત્યારે પોલીસ અધિકારીએ કહ્યું હતું કે જો પાર્કિંગ હોય તો તેના પુરાવા લઈ આવો તેમ કહ્યું હતું આજે 28 જાન્યુઆરીના રોજ પણ સવારથી દુકાનદારોએ પોતાની દુકાનો ખોલી નથી અને વિરોધ દર્શાવ્યો છે. શ્રી અમદાવાદ વેપારી મહા સંગઠનના આગેવાન મેઘરજ ડોડવાણી અને પાનકોર નાકા વેપારી એસોસિએશનના આગેવાનો ટ્રાફિક ડીસીપીને મળીને આ મામલે રજૂઆત કરવા ગયા છે અને આ મામલે રજૂઆત બાદ જ દુકાન ખોલવામાં આવશે.
ગઢડાની ઘેલો નદીમાં ગાંડી વેલનો વ્યાપ:સફાઈ માટે સ્થાનિકોની તાત્કાલિક માગ
બોટાદ જિલ્લાના ગઢડા ખાતે આવેલી પવિત્ર ઘેલો નદી ગાંડી વેલથી સંપૂર્ણપણે ઢંકાઈ ગઈ છે. નદીમાં જ્યાં નજર કરો ત્યાં ગાંડી વેલનું સામ્રાજ્ય જોવા મળે છે, જેના કારણે નદીનું પાણી દેખાતું નથી અને તે અપવિત્ર બની ગઈ છે. સ્થાનિક લોકો દ્વારા નદીની તાત્કાલિક સફાઈ કરવાની માંગ કરવામાં આવી રહી છે. ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું તીર્થધામ છે, જ્યાં આ ઘેલો નદી આવેલી છે. ભગવાન સ્વામિનારાયણ પોતે આ નદીમાં સ્નાન કરતા હોવાથી તેને 'ઉન્મત ગંગા'નું સ્થાન મળેલું છે. મોટી સંખ્યામાં યાત્રાળુઓ અહીં દર્શનાર્થે આવે છે અને પિતૃમોક્ષાર્થે પણ કર્મકાંડ કરાવે છે. હાલમાં, ઘેલો નદીમાં ગટરનું દૂષિત પાણી ભળી રહ્યું છે, જેના પરિણામે ગાંડી વેલનો વ્યાપ મોટા પાયે વધ્યો છે. આ વેલના કારણે નદીનું પાણી દેખાતું બંધ થઈ ગયું છે, જે તેની પવિત્રતાને અસર કરી રહ્યું છે. આ અંગે ગઢડા સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર એચ. જે. સિકોતરાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ધોળકિયા ફાઉન્ડેશનને ગઢડામાં ઘેલો નદી પર આવેલા રમાઘાટ ડેમથી બે કિલોમીટર સુધી 80-20ના ભાગે સફાઈ કામગીરી કરવાની જવાબદારી સોંપવાનું નક્કી થયું છે. મંજૂરી મળતાની સાથે જ ઘેલો નદીની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવશે.
ભરૂચમાં પ્રખરતા શોધ કસોટી શરૂ:2,567 વિદ્યાર્થી 10 કેન્દ્ર પર પરીક્ષા આપી રહ્યા છે
ભરૂચ જિલ્લામાં આજે બુધવારે ધોરણ-9ના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકાર દ્વારા આયોજિત પ્રખરતા શોધ કસોટીનો પ્રારંભ થયો હતો. આ પરીક્ષા વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રતિભા, તર્કશક્તિ અને સમજણનું મૂલ્યાંકન કરવા માટે લેવામાં આવે છે. જિલ્લાના ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયા તાલુકાના કુલ 10 પરીક્ષા કેન્દ્રો પર 2,567 વિદ્યાર્થીઓ આ કસોટી આપી રહ્યા છે. પરીક્ષા સવારે 11 વાગ્યે સમયસર શરૂ થઈ હતી અને 86 બ્લોકમાં સુચારુ તથા પારદર્શક રીતે તેનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા કેન્દ્ર પર પહોંચેલા વિદ્યાર્થીઓનું કુમકુમના તિલક અને સાંકર આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રખરતા શોધ કસોટીમાં પ્રથમ પ્રશ્નપત્રમાં અંગ્રેજી, ગુજરાતી, સામાજિક વિજ્ઞાન અને જનરલ નોલેજનો સમાવેશ થાય છે. જ્યારે બીજું પ્રશ્નપત્ર ગણિત, વિજ્ઞાન અને સામાન્ય સમાજ વિષયક રહેશે, જે બપોરે 2 થી 4 વાગ્યા દરમિયાન યોજાશે. આ પરીક્ષાના સુચારુ આયોજન માટે જિલ્લામાં કુલ 125 કર્મચારીઓ ફરજ પર તૈનાત કરાયા છે. જેમાં 10 કેન્દ્ર સંચાલક, 10 સુપરવાઇઝર, 86 ખંડ નિરીક્ષક અને 19 સેવકોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, પ્રખરતા શોધ કસોટીમાં મેરિટમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા ધોરણ-9 થી ધોરણ-12 સુધી દર વર્ષે રૂ. 12,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આ શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક સહાય પૂરી પાડશે અને તેમની પ્રતિભાને પ્રોત્સાહન આપશે.
શિક્ષાપત્રી મંથન:સફળતા માટે ધીરજ અને સરળતા જરૂરી: સાધુ પ્રેમવત્સલદાસજી
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના મોટિવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ધીરજ એ પાયાનો ગુણ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે માત્ર આવડતથી જ વ્યક્તિ સફળ થઈ શકતો નથી. સાધુ પ્રેમવત્સલદાસજીએ સરળ સ્વભાવના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે ઉમેર્યું કે, ઘર કે પરિવારમાં સરળતાનો ગુણ ન હોય તો સુખ-શાંતિ પ્રાપ્ત થતી નથી અને સફળતા પણ મળતી નથી. તેમણે ઉદાહરણ આપતા સમજાવ્યું કે, પૃથ્વીના પેટાળમાં હીરો જેટલી ગરમી સહન કરે છે, તેટલો જ તે મજબૂત બને છે. હીરા પર અનેક ઘા મારવામાં આવે છતાં તે તૂટતો નથી. તેવી જ રીતે, કેરી જેટલી લૂ અને ગરમી સહન કરે છે, તેટલી જ તેમાં મીઠાશ આવે છે. આ દ્રષ્ટાંતો દ્વારા તેમણે સ્પષ્ટ કર્યું કે, પરિવાર કે સમાજમાં જે વ્યક્તિ સહનશીલતા દાખવે છે, તે જ મહાન બને છે. તેમણે સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના ઉદાહરણનો પણ ઉલ્લેખ કર્યો, જેમણે ઘણું સહન કર્યું અને આજે પણ તેમને યાદ કરવામાં આવે છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે દબાણ હટાવવાની મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. કમિશનર સ્વપ્નિલ ખરેની હાજરીમાં દુકાનોની બહાર રાખવામાં આવેલો માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીને કારણે ટ્રાફિક સહિતના પ્રશ્નો ઉભા થયા હતા અને માલ જપ્ત થતાં વેપારીઓએ તખ્તસિંહજી રોડ પર ચક્કાજામ કર્યો હતો. આ કાર્યવાહી મહાપાલિકાની કચેરીથી લઈને રેલવે સ્ટેશન રોડ (ઈસ્ટ ઝોન કચેરી) સુધીના વિસ્તારમાં કરવામાં આવી હતી. આ રોડની બંને બાજુએ આવેલી દુકાનોના ઘણા વેપારીઓ દ્વારા પોતાની દુકાનની બહાર માલસામાનનો પથારો કરવામાં આવતો હતો, જેના કારણે દબાણની સમસ્યા સર્જાતી હતી. અગાઉ વેપારીઓને દુકાનની બહાર માલસામાન ન રાખવા માટે સૂચના આપવામાં આવી હતી, પરંતુ તેમ છતાં તેઓ દ્વારા નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું. આથી, કમિશનરની આગેવાની હેઠળ આ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન, ગાંધીચોક પાસે જ્યાં વહેલી સવારે શાકભાજીની હરાજી થાય છે, ત્યાં બટાકા સહિતના હોલસેલ વેપારીઓ દ્વારા રસ્તા પર રાખવામાં આવેલા 8 થી 10 જેટલા બટાકાના બચકાં જપ્ત કરવામાં આવ્યા હતા. કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, મોરબીમાં લોકોની સુખાકારી વધે તે હેતુથી રોડ સાઈડના દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મોરબીના નગર દરવાજા ચોક સહિતના વિસ્તારોમાં જ્યાં અગાઉ દબાણ દૂર કરવામાં આવ્યા છે, ત્યાં ફરીથી દબાણો થતા હોય છે. આવા દબાણો કાયમી ધોરણે દૂર થાય તે માટે આગામી સમયમાં પોલીસ સાથે સંકલન કરીને કાર્યવાહી કરવામાં આવશે.
બોડકદેવ વિસ્તારમાં રહેતી 35 વર્ષીય યુવતીને અજાણ્યા યુવક સાથે પ્રેમસંબંધ રાખવો ભારે પડ્યો છે. પ્રેમજાળમાં ફસાવી બાદમાં અશ્લીલ વર્તન અને બ્લેકમેઈલ કર્યાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ઉંઝા ઉમિયા માતાના મંદિરમાં મુલાકાત બાદ બંને વચ્ચે પરિચય થયો હતો અને બાદમાં પ્રેમસબંધ બંધાયો હતો. યુવક પરણિત અને બે બાળકોનો પિતા હોવાનું યુવતીને જાણવા મળ્યું હતું. પૈસા માંગવા મુદ્દે થયેલા ઝઘડા બાદ યુવકે યુવતી સાથે મારપીટ કરી અને તેના ફોટા-વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી આખરે યુવતીએ કંટાળી યુવક સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઊંઝામાં મુલાકાત થયા બાદ મિત્રતા પ્રેમસંબંધમાં પરિણમી હતીબોડકદેવ વિસ્તારમાં રહેતી 35 વર્ષીય યુવતી તેની મિત્ર સાથે ઊંઝા ઉમિયા માતાના મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા ત્યારે તેમનો સંપર્ક કિરણ પટેલ સાથે થયો હતો. બંને વચ્ચે પરિચય થતા નંબરની પણ આપલે કરી હતી. જે બાદ બંને લોકો એકબીજા સાથે ફોન પર અને સોશિયલ મીડિયા પર વાતચીત પણ કરતા હતા. એપ્રિલ 2025માં કિરણ પટેલ તેના વેપારના કામ માટે અમદાવાદ આવ્યો હતો. જ્યાં તેની યુવતી સાથે મુલાકાત પણ થઈ હતી, જે દરમિયાન બંને વચ્ચે પ્રેમસબંધ બંધાયો હતો. એક્ટિવાના પૈસા ન આપતા યુવકે ઝઘડો કરી મારામારી કરીજો કે તે બાદ યુવતીને ખબર પડી કે કિરણ પટેલ પરણિત છે, તેમજ બે બાળક પણ છે. પરંતુ કિરણ પટેલે કહ્યું કે તેને તેની પત્ની સાથે બનતું નથી તેવું કહી યુવતીનો વિશ્વાસ કેળવ્યો હતો. જેથી યુવતીએ કિરણ પટેલ પર વિશ્વાસ રાખીને અવારનવાર બંને ફરવા માટે પણ જતાં હતા. જે દરમિયાન બંનેએ ફોટો અને વીડિયો પણ લીધા હતા. જે યુવતી તેના લેપટોપમાં સાચવીને રાખતી હતી. ડિસેમ્બર 2025ના કિરણ પટેલે નવું એક્ટિવા લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેના માટે યુવતી પાસેથી રૂપિયા પણ માંગ્યા હતા. પરંતુ યુવતી પાસે રૂપિયા ન હોવાથી તેને આપવાનો ઇનકાર કરતા કિરણ પટેલ અને યુવતી વચ્ચે ઝઘડો થયો હતો. જે દરમિયાન કિરણ પટેલે બે ત્રણ લાફા માર્યા હોવાનો પણ યુવતીએ આક્ષેપ કર્યો છે. સોશિયલ મીડિયામાં ફોટો-વીડિયો વાઈરલ કરવાની ધમકી આપીજો કે તે બાદ પણ કિરણ પટેલ 7 જાન્યુઆરીએ ફરી યુવતી પાસે રૂપિયા માંગ્યા હતા. પરંતુ યુવતીએ રૂપિયા ન હોવાથી આપવાનો ઇનકાર કરતા કિરણ પટેલ ઉશ્કેરાઈ ગયો હતો. જે બાદ કિરણ પટેલે બીભત્સ વર્તન કર્યું હોવાનો પણ યુવતીએ આક્ષેપ કર્યો છે. તેમ છતાં કિરણ પટેલ મેસેજ કરતો હોવાથી યુવતીએ જવાબ આપવાનું બંધ કરી દીધું હતું. યુવતીએ વાત કરવાની બંધ કરી દેતા કિરણ પટેલે તેની સાથે પડાવેલા ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી યુવતીએ કંટાળી આખરે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કિરણ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે કિરણ પટેલ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગોધરા પાલિકાના કરોડોના રોડ સ્વીપર મશીનો ધૂળ ખાય છે:નવા મશીન ખરીદવા બજેટ નથી, ટેન્ડરથી સફાઈની ખાતરી
ગોધરા શહેરને સ્વચ્છ રાખવાના હેતુથી ખરીદવામાં આવેલા કરોડો રૂપિયાના આધુનિક 'રોડ વેક્યુમ સ્વીપર' મશીનો પાલિકાની બેદરકારીને કારણે નિષ્ક્રિય પડ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી આ મશીનો કાટ ખાઈ રહ્યા છે, જેના પરિણામે શહેરના મુખ્ય માર્ગો પર ધૂળની ડમરીઓ ઉડી રહી છે. શહેરના રસ્તાઓ પરથી ધૂળ સાફ કરવા માટે લાવવામાં આવેલા આ મોંઘા મશીનો યોગ્ય જાળવણીના અભાવે ભંગાર અવસ્થામાં ફેરવાઈ ગયા છે. આ મશીનો લાંબા સમયથી કાર્યરત ન હોવાથી તેનો મૂળ હેતુ સિદ્ધ થઈ રહ્યો નથી. રસ્તાઓ પર ઉડતી ધૂળને કારણે વાહનચાલકો અને રાહદારીઓમાં શ્વાસ સંબંધિત બીમારીઓ અને આંખોમાં બળતરા જેવી ફરિયાદો વધી રહી છે. સ્થાનિક વેપારીઓ પણ ધૂળની સમસ્યાથી પરેશાન છે. આ અંગે ગોધરા પાલિકા પ્રમુખે જણાવ્યું છે કે, હાલ પાલિકા તંત્ર પાસે નવા મશીનોની ખરીદી માટે પૂરતું બજેટ નથી. જોકે, તેમણે ખાતરી આપી છે કે શહેરની સફાઈ પ્રક્રિયા અટકશે નહીં. પાલિકા ટૂંક સમયમાં જ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીને એજન્સી મારફતે રોડની સફાઈ કરાવશે.
વડોદરા શહેરના અકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગંગોત્રી ગીરીવર સોસાયટી વિસ્તારમાં નશામાં ધૂત થઇને નિવૃત્ત PSIના પુત્રએ ધમાલ મચાવી હતી. 112 જનરક્ષક વાનને બોલાચાલી તથા ઝઘડાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અકોટા પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, નિખિલ દેવરાજભાઈ ઝાલા નામના વ્યક્તિ મિત્રો સાથે મનીષા ચોકડી પાસે પાનના ગલ્લા નજીક ઊભા હતા. ત્યારે એક કિયા કારના ચાલકે નશાની હાલતમાં ઝડપથી ગાડી હંકારી હતી અને નિખિલ અને તેના મિત્રોના પગ પાસેથી કાર નીકળી ગઈ હતી. નિખિલભાઈએ તેનો પીછો કરી ગંગોત્રી ગીરીવર સોસાયટીમાં જઈ પહોંચ્યા બાદ કારચાલક સાથે બોલાચાલી થઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલા 112 જનરક્ષક કર્મચારીઓએ કારચાલકને નીચે ઉતારી તપાસ કરી હતી. તેણે પોતાનું નામ વિરેન્દ્રસિંહ યુવરાજસિંહ ઝાલા (ઉંમર 25 વર્ષ, રહેવાસી કડુજીનગર, ગીરીવર ગંગોત્રી, વડોદરા) હોવાનું જણાવ્યું હતું. તેના શરીરમાંથી દારૂ જેવા કેફી પીણાની ગંધ આવતી હોવાનું જણાતા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો. ગોત્રી હોસ્પિટલમાં તેનું મેડિકલ પરીક્ષણ કરાવતાં રિપોર્ટમાં દારૂનો નશો કરેલો હોવાનું સામે આવ્યું હતું. તે લથડિયા ખાતો જોવા મળ્યો હતો અને આંખો લાલચોળ તથા ઘેરાયેલી જણાઈ આવી હતી. કારની તપાસમાં તેની આગળ-પાછળ નંબર પ્લેટ લગાવેલી ન હતી. આ ઘટના અંગે અકોટા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને નશામાં વાહન ચલાવવા બદલ આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. કૃતિકભાઈએ જણાવ્યું હતું કે, મનીષા ચોકડી પાસે અમે ચાર મિત્રો ઉભા ગાડી લઈને ઊભા હતા. આ સમયે નંબર પ્લેટ વગરની કિયા સેલ્ટોસ ગાડી લઈને એક ભાઈ આવ્યા હતા. જેમાં પોલીસની પ્લેટ અને પોલીસની લાઈટો લાગેલી હતી. એ ભાઈ ગાડીમાંથી દંડો લઈને ઉતર્યો હતો અને અમને એવું કહ્યું હતું કે, કેમ ઉભા છો ભાઈ? ચલો નીકળો, ચલો નીકળો અહીંથી. નીકળશો કે ગાળો ખાશો? કે ડંડાવાળી કરું હમણાં. સીધું આવીને એ બોલવાનું ચાલુ કરી દીધું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમને પહેલા એવું લાગ્યું હતું કે, કોઈ પોલીસવાળા ભાઈ હશે. એટલે અમે વિચાર્યું હતું કે, ચલો જઈએ વાંધો નહીં. પછી અમને લાગ્યું કે એ ભાઈ કોઈ પોલીસમાં લાગતો નથી, એટલે અમે તરત પાછા ત્યાં ગયા હતા, ત્યાં જઈને ઉભા રહ્યા તો બીજા એક એડવોકેટ હતા, એ ભાઈ એમની સાથે પણ ઝઘડવા માંડ્યા હતા અને પછી બોલાચાલી થઇ હતી. જેથી અમે એમનો વિડીયો બનાવવાનું ચાલુ કર્યું હતું, એટલે એ ભાઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ ઉમેર્યું હતું કે, તેઓ ગાડીમાં દારૂ પીતા હતા એ ભાઈ ત્યાંથી ગાડી લઈને ભાગ્યો અને અમારી પર ગાડી ચડાવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. અમે એની પાછળ ગાડી ભગાવી હતી, તો એ ભાઈ સોસાયટીમાં ઘૂસી ગયા હતા. જેવા અમે ગલીમાં ઘુસ્યા ત્યાંથી એ લોકો દોડતા દોડતા આવીને અમારી ગાડી પર ચડી ગયા હતા અને ગાડી ઉપર ચડીને પગ મારવા માંડ્યા ગાડી ઉપર અને જેવા બહાર નીકળ્યા અમે એમ ડંડાથી બધાને મારવાનું ચાલુ કરી દીધું હતું. તેઓએ કહ્યું કે, એની સાથે એના પપ્પા યુવરાજ સિંહ ઝાલા આવ્યા હતા, જેઓ રિટાયર્ડ પોલીસ ઓફિસર છે. એ એમણે પણ આવીને બધાને મારવાના ચાલુ કરી દીધા હતા. યુવક પીધેલી હાલતમાં હતો અને લાલ લાઈટ વાળી ગાડીમાં ફરતો હતો. પોલીસ અધિકારી નથી તો પણ આવી રીતે પબ્લિક પર દાદાગીરી કરવામાં આવે છે? અને આમ આદમી પર આવી રીતે અત્યાચાર કરવામાં આવે છે. અત્યારે કોઈને સામાન્ય માણસ મારીને ભાગ્યો હોત તો મને તો મારી મારીને પોલીસ વાળા લાવ્યા હોત અને વરઘોડો નીકળ્યો હોત. આજે હું પીધેલી હાલતમાં અહીં કોઈને મારીને આવ્યો હોત, તો મારો પોતાનો વરઘોડો કાઢ્યો હોત.
વડોદરા શહેરમાં MGVCLની ગંભીર બેદરકારીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. આજે સવારે એક વીજકર્મી લાઇનની મરામત માટે વીજ પોલ પર ચડ્યા હતા. મરામત દરમિયાન લાઇન ચાલુ હોવાના કારણે તેમને ભારે કરંટ લાગ્યો હતો, જેથી તે ગંભીર રીતે દાઝી ગયા હતા. MGVCLના સ્ટાફ દ્વારા યુવકને રેસ્ક્યૂ કરીને તેમને તાત્કાલિક નીચે ઉતારવામાં આવ્યા હતા. રેસ્ક્યૂ સમયે એક વ્યક્તિ વારંવાર કહી રહ્યાં હતા કે, 'લાકડુ મારો, બિચારો ક્યારનો હલી રહ્યો છે.'અને BAPS સ્વામિનારાયણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. વીજ લાઈનની મરામત સમયે વીજકર્મીને કરંટ લાગતા ફસાઈ ગયાવડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા BAPS સ્વામીનારાયણ મંદિર પાસે MGVCLના કર્મચારીઓ લાઇનની મરામતની કામગીરી કરી રહ્યા હતા. તે સમયે વીજકર્મી મહેશભાઈ વાણીયા (ઉંમર.45 વર્ષ) કામગીરી માટે વીજ પોલ પર ચડ્યા હતા. આ સમયે અચાનક તેમને વીજ કરંટ લાગ્યો હતો અને તેઓ વીજ પોલ ઉપર ફસાઈ ગયા હતા. જેથી પોલ પર આગ લાગી હતી અને આગની ચપેટમાં આવતાં તેઓ પીઠના ભાગે દાઝી ગયા હતા. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન વીજકર્મી દર્દથી કણસતો જોવા મળ્યોઘટનાને પગલે તુરંત જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. જેથી વાસણા ફાયર બ્રિગેડના સૈનિક શૈલેષભાઈ રાઠવા અને તેમની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જોકે તેઓ પહોંચે તે પહેલા જ MGVCLના સ્ટાફ દ્વારા મહેશભાઈ વાણિયાને રેસ્ક્યૂ કરીને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન વીજકર્મી દર્દથી કણસી રહેલો જોવા મળ્યો હતો, ત્યારે એ સમયે એક વ્યક્તિ એને બચાવવા માટે બોલી રહ્યાં હતા કે, 'લાકડાથી મારો, બિચારો ક્યારથી હલે છે.' વીજ લાઈન બંધ કરીને મહેશભાઈને ઉતાર્યા બાદ તાત્કાલિક અટલાદરા ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. MGVCLની ગંભીર બેદરકારીનો વધુ એક બનાવમળતી માહિતી પ્રમાણે વીજ લાઈનની મરામતની કામગીરી સમયે એક ફીડર લાઇન ચાલુ હતી એને બીજી ફીડર લાઇન બંધ હતી. જોકે આ ઘટના કેવી રીતે બની તે અને કોની બેદરકારી છે તે પણ તપાસનો વિષય છે. મેન્ટેનન્સની કામગીરી સમયે વીજ લાઈન બંધ કેમ ન કરવામાં આવી તે પણ એક સવાલ છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં અવારનવાર આ પ્રકારે વીજકર્મીઓ દુર્ઘટનાઓનો ભોગ બનતા હોય છે, ઘણી ઘટનાઓમાં વીજ કરીને પોતાના જીવ પણ ગુમાવે છે, ત્યારે આવી ઘટનામાં યોગ્ય તપાસ થાય તે જરૂરી છે.
અમદાવાદ શહેરના માધવપુરા વિસ્તારમાં એક તરફી પ્રેમીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મકાન માલિક યુવક ભાડે રહેતી પરિણીતા પાસે પહોંચી ગયો હતો અને તેને બાથમાં ભીડીને કહેવા લાગ્યો હતો કે, તું મારી સાથે લગ્ન કરી લે નહીં તો હું મરી જઈશ. પરિણીતા વશમાં નહીં થતા યુવકે તેની પાસે રહેલી છરી કાઢી હતી અને પોતાના હાથમાં મારવાનું શરૂ કરી દીધું હતું. યુવકે ગુસ્સામાં આવીને પરિણીતાના ભાઈ, બહેન તેમજ માતા ઉપર પણ હુમલો કરી દીધો હતો. આ અંગે માધવપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યુવકે ઘરે જઈને યુવતી કઈ વીચારે તે પહેલા બાથમાં ભીડી લીધીમાધવપુરા વિસ્તારમાં દરિયાખાન ધુમ્મટના છાપરામાં યુવતી તેના પતિ સાથે ભાડાના મકાનમાં છેલ્લા આઠ મહિનાથી રહે છે અને ઘરે બેઠા કપડાના દોરા કાપવાનું કામ કરે છે. ગઈકાલે યુવતી પોતાના ઘરે એકલી હતી અને શર્ટમાં દોરા કાપવાનું કામ કરતી હતી ત્યારે તેનો મકાન માલીક દાઉદ શેખ આવી પહોંચ્યો હતો. યુવતી કઈ વીચારે તે પહેલા દાઉદે તેને બાથમાં ભીડી લીધી હતી અને કહેવા લાગ્યો હતો કે, 'તું મારી જોડે લગ્ન કરી લે નહીં તો હું મરી જઈશ.' યુવક લગ્નની જીદ લઈ પોતાના હાથ પર છરી મારવા લાગ્યોજે બાદ યુવતીએ વાતનો ઇન્કાર કરતા દાઉદે તેની પાસે રહેલી છરી કાઢી હતી અને પોતાના હાથમાં મારવા લાગ્યો હતો. આ દરમિયાન યુવતીનો નાનો ભાઈ ઘરે આવી જતા દાઉદે તેને પણ કહ્યું હતું કે, તારી બહેન જોડે મારા લગ્ન કરાવી દે નહિતર હું મરી જઈશ. દાઉદ પોતાની જાત પર છરીઓ મારતો હોવાથી યુવતી અને તેના ભાઈએ બળનો ઉપયોગ કર્યો હતો. બન્ને ભાઈ-બહેને દાઉદને પકડી લીધો હતો અને છરી ફેંકાવી દીધી હતી. જેથી દાઉદ ઉશ્કેરાયો હતો અને યુવતીના ભાઈનો હાથ મરોડીને ફેંટો મારવા લાગ્યો હતો. યુવતીની માતા અને બહેનો સાથે મારમારી કરવાની શરૂ કરી દીધીદાઉદ હુમલો કરી રહ્યો હતો ત્યારે યુવતીએ બુમાબુમ કરી દીધી હતી જેથી તે ત્યાથી નાસી ગયો હતો. જે બાદ યુવતી તેના ભાઈ સાથે ઘરને લોક મારીને માતાના ઘરે પહોંચી ગયા હતા. ત્યારે યુવતી તેની માતા અને બહેનો સાથે ઘરમાં હાજર હતી ત્યાં પણ દાઉદ આવી પહોંચ્યો હતો. ત્યાં પણ યુવતીના પરિવાર સાથે બબાલ કરીને કહેવા લાગ્યો હતો કે, તેના મારી સાથે લગ્ન કરાવી દો. દાઉદે યુવતીની માતા અને બહેનો સાથે મારમારી કરવાની શરૂ કરી દીધી હતી. પોલીસે દાઉદ વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરીતે દરમિયાન યુવતીના પિતા આવી જતા તેમણે દાઉદને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મુક્યો હતો. આસપાસના લોકો ભેગા થઈ જતા દાઉદ ત્યાથી નાસી ગયો હતો જ્યારે યુવતીએ પોલીસ કંટ્રોલરુમમાં ફોન કરી દીધો હતો. ઘટનાની જાણ થતાની સાથે પોલીસની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે દાઉદ વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ કોલી ગામે વહેલી સવારે ખેતરમાં ગયેલા એક વૃદ્ધ પર દીપડાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ થતાં તેમને છોટાઉદેપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના આજે વહેલી સવારે બની હતી. કોલી ગામના 65 વર્ષીય મોહનભાઈ રાઠવા પોતાના ખેતરમાં ગયા હતા. સવારે લગભગ 7 વાગ્યાના અરસામાં અચાનક દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો. દીપડાએ મોહનભાઈને ગળા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલો થતાં મોહનભાઈએ બૂમાબૂમ કરી હતી. તેમના દીકરા રાકેશભાઈએ અવાજ સાંભળીને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રાકેશભાઈએ બૂમો પાડતાં દીપડો ભાગી ગયો હતો. ત્યારબાદ તેઓ પોતાના પિતાને લઈને તાત્કાલિક છોટાઉદેપુરની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. છોટાઉદેપુર જિલ્લામાં દીપડાની સંખ્યા નોંધપાત્ર છે અને માનવ વસ્તી પર હુમલાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. આ ઘટનાની જાણ વન વિભાગને થતાં, વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને દીપડાને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે.
કુંભારવાડામાં બે ખૂંટિયાનું ધીંગાણું:શહેરના કુંભારવાડા માઢિયા રોડ પર બે ખૂંટિયાનો આતંક
શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે શહેરના કુંભારવાડા માઢિયા રોડ પર આજે ભરચક રસ્તા વચ્ચે બે ખૂંટિયા એ એવું ધીંગાણું મચાવ્યું હતું કે આસપાસના રહીશો અને વાહનચાલકોના જીવ તાળવે ચોંટી ગયા હતા, લાંબા સમય સુધી ચાલેલા આ યુદ્ધને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને લોકોમાં નાસભાગ મચી ગઈ હતી, કુંભરવાડા વિસ્તારમાં રખડતા ઢોરનો પ્રશ્ન જૂનો છે, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી, અગાઉ પણ અનેકવાર આ વિસ્તારમાં રખડતા ઢોરને કારણે બાળકો અને વૃદ્ધો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકા અને સંબંધિત તંત્રને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સ્થિતિ તેવી ને તેવી જોવા મળી રહી છે, જોકે તંત્ર દ્વારા સમયાંતરે ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે, પરંતુ માઢિયા રોડ જેવા વિસ્તારોમાં હજી પણ ઢોરનો જમાવડો જોવા મળે છે, રસ્તા પરથી પસાર થતી વખતે હંમેશા ફાળ પડે છે કે ક્યારે કોઈ પશુ અડફેટે લેશે, હાલ તો સદનસીબે આ ધીંગાણામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર આળસ ખંખેરીને આક્રમક રીતે ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરે તેવી ઉગ્ર માંગ ઉઠી છે, આ અંગે મનપાના અધિકારી ડો.હિતેશ સવાણી એ જણાવ્યું હતું કે, ભાવનગરમાં હાલ ચાર ઢોરના ડબ્બા આવેલા છે જેમાં 2238થી વધુ ઢોરનો નિભાવ ખર્ચ કોર્પોરેશન દ્વારા ઉઠાવી રહ્યું છે, ભાવનગર મહાનગરપાલિકા ની ઢોર પકડવાની કામગીરીમાં બે ટીમો હાલ કાર્યરત છે અને રોજના 20 થી વધુ ઢોર પકડવાની કામગીરી કરી રહ્યું છે, હજુ આગામી દિવસોમાં પણ ઢોર પકડવાની કાર્યવાહી કરવામાં આવશે.
સુરત શહેરના વ્યસ્ત ગણાતા સહારા દરવાજા ઓવરબ્રિજ પર આજે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. ચાલુ બસની ડીઝલ ટાંકી ફાટી જવાને કારણે બ્રિજ પર ડીઝલની રેલમછેલ થઈ હતી, જેના લીધે અનેક વાહનચાલકો અકસ્માતનો ભોગ બન્યા હતા. 20 થી વધુ વાહન ચાલકો સ્લીપ થયા હતા. ઘટના અંગેની જાણ થતા ફાયર વિભાગનો કાપલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બ્રિજને બંધ કરી સાફકરવો પડ્યો હતો. ઘટનાની વિગત પીક અવર્સ દરમિયાન જ્યારે બ્રિજ પર ટ્રાફિકનું ભારણ વધારે હતું, ત્યારે એકાએક એક બસની ડીઝલ ટાંકીમાં ભંગાણ પડ્યું હતું. જોતજોતામાં બ્રિજની એક આખી સાઇડ તેલ જેવી ચીકણી બની ગઈ હતી. ડીઝલના કારણે રસ્તો અત્યંત લપસણો થઈ જતાં પાછળ આવી રહેલા વાહનચાલકોએ કાબૂ ગુમાવ્યો હતો. આશરે 15 થી 20 જેટલા વાહનચાલકો બ્રિજ પર સ્લિપ થઈ ગયા હતા. અનેક લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી અને વાહનોને પણ નુકસાન થયું હતું. ઘટના ઓફિસ અને કામકાજના સમયે (પીક અવર્સ) બની હોવાથી મોટી જાનહાનિનું જોખમ ઊભું થયું હતું. ફાયર વિભાગની ત્વરિત કામગીરી ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પરિસ્થિતિને જોતા ફાયર ઓફિસરોએ સૌથી પહેલા બ્રિજની એક સાઇડનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરાવી દીધો હતો. રસ્તા પર ફેલાયેલા ખતરનાક ડીઝલને દૂર કરવા માટે પાણીનો સતત મારો ચલાવ્યો હતો. બ્રિજને યોગ્ય રીતે સાફ કર્યા બાદ અને લપસણ દૂર થયાની ખાતરી કર્યા પછી જ રસ્તો ફરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. હાલ બ્રિજ પરની સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે.
PHOTOS : અજિત પવારનું વિમાન જ્યાં ક્રેશ થયું ત્યાંના ભયાનક દૃશ્યો સામે આવ્યા
Ajit Pawar Died News : મહારાષ્ટ્રના રાજકારણના મોટા સમાચાર સામે આવ્યા છે. ઉપમુખ્યમંત્રી અજિત પવારનું વિમાન ક્રેશ થતાં 5 લોકોના નિધન થયા હતા. હવે આ ઘટનાસ્થળના દૃશ્યો સામે આવ્યા છે. જેની તસ્વીરો અત્યંત ભયાનક દેખાઈ રહી છે. અજિત પવારના નિધનથી રાજકારણમાં પણ શોકની લાગણી છવાઈ છે. શરદ પવાર અને સુનેત્રા પવાર સહિત પવાર પરિવારના સભ્યો બારામતી જવા રવાના થઈ ગયા છે.
રાજ્ય સરકારે મહેસૂલ વિભાગના નાયબ મામલતદાર વર્ગ-3 અને મહેસૂલી તલાટી વર્ગ-3ના અધિકારીઓની મોટા પાયે બદલીઓ કરી છે. આ બદલીઓમાં સાબરકાંઠા જિલ્લામાં 24 નાયબ મામલતદાર અને 18 રેવન્યુ તલાટી બદલી થઈને આવ્યા છે, જ્યારે જિલ્લામાંથી 2 નાયબ મામલતદાર અને 4 રેવન્યુ તલાટીની બદલી થઈ છે. રાજ્ય સરકાર દ્વારા મહેસૂલ વિભાગ હસ્તકના વર્ગ-3ના કુલ 145 નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં સાબરકાંઠા જિલ્લામાંથી બે નાયબ મામલતદારોની અન્ય જિલ્લાઓમાં બદલી થઈ છે. જેમાં અમિતકુમાર આર. સંગાડાની દાહોદ અને ધવલકુમાર રમેશભાઈ પરમારની પંચમહાલ જિલ્લામાં બદલી કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લામાં બદલી થઈને આવેલા 24 નાયબ મામલતદારોમાં પ્રજ્ઞેશ વી. પ્રજાપતિ (પંચમહાલ), ડી.બી. પાટીલ (દાહોદ), ધારાકુમારી વી. મોચી (મહીસાગર), પી.આર. પટેલ (પંચમહાલ), પરિતાબેન કે. સોની (પંચમહાલ), ભાયિકાબેન ગૃસિભાઈ પટેલ (પંચમહાલ), શૈલેષ એલ. દેસાઈ (દાહોદ), હિરલબેન આર. પટેલ (દાહોદ), ચેતના ડી. નિનામા (દેવભૂમિ દ્વારકા), અનિલકુમાર રવજીભાઈ ડામોર (મહીસાગર), મકવાણા કાલુસિંહ (મહીસાગર), વિષ્ણુકુમાર દયાલાલ સુતારિયા (અરવલ્લી), કૃણાલ એસ. પટેલ (મહીસાગર), આરતી વિનોદચંદ્ર સોની (અરવલ્લી), પોપટજી એસ. મકવાણા (મહીસાગર), વનરાજસિંહ યશવંતસિંહ ચૌહાણ (બનાસકાંઠા), પ્રજાપતિ સુરેશકુમાર અમૃતલાલ (છોટાઉદેપુર), રવિપ્રકાશ જે. પટેલ (પંચમહાલ), વિજયકુમાર કે. કટારા (મહીસાગર), ઉર્વી દ્વારકાદાસ પટેલ (સુરત), પ્રફુલકુમાર જી. બારોટ (બનાસકાંઠા), અલ્પેશકુમાર પી. પટેલ (મહીસાગર), વિરલ લિંબાચિયા (ડાંગ) અને સમીર વસંતભાઈ પરીખ (બનાસકાંઠા) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રાજ્ય સરકારે મહેસૂલી તલાટી વર્ગ-3ના કુલ 207 રેવન્યુ તલાટીઓની જિલ્લાફેર બદલીઓ કરી છે. સાબરકાંઠા જિલ્લામાંથી ચાર રેવન્યુ તલાટીઓની અન્ય જિલ્લાઓમાં બદલી થઈ છે. જેમાં પાર્થ વાઘેલાની અમદાવાદ, ભગવાનભાઈ ગેમરભાઈ ભૂતડિયાની બનાસકાંઠા, રમેશકુમાર એન. પટેલની વાવ-થરાદ અને કલ્પેશકુમાર સોમાભાઈ પ્રજાપતિની મહેસાણા જિલ્લામાં બદલી કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લામાં બદલી થઈને આવેલા 18 રેવન્યુ તલાટીઓમાં ગીતાબેન મંગાભાઈ ચૌધરી (મહીસાગર), મયંક બાબુભાઈ પટેલ (દાહોદ), દર્શનકુમાર બાબુભાઈ ચૌધરી (દાહોદ), મહીપાલસિંહ વી. ચંપાવત (મહીસાગર), પ્રવીણ એચ. સોલંકી (પંચમહાલ), નિકુલભાઈ કરમસીભાઈ રબારી (દાહોદ), જીગ્નેશ એન. પટેલ (પંચમહાલ), નીલેશ કે. ચાવડા (છોટાઉદેપુર), દીક્ષિત અમૃતલાલ પ્રજાપતિ (દાહોદ), નીલેશકુમાર કાંતિલાલ પટેલ (પંચમહાલ), અજયસિંહ બી. મકવાણા (છોટાઉદેપુર), યુવરાજસિંહ ચતુરસિંહ પરમાર (દાહોદ), નીલેશ આર. પંડ્યા (મહીસાગર), દિવ્યાબેન સી. દેસાઈ (પંચમહાલ), પૂનમસિંહ અર્જુનસિંહ મકવાણા (દાહોદ), સુજીતકુમાર હરિભાઈ સુતારિયા (દાહોદ), જયેશભાઈ એસ. રબારી (પંચમહાલ) અને રિકિતા પટેલ (મહીસાગર) નો સમાવેશ થાય છે.
અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતો તેઓ સુભાષ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે શાહીબાગ અંડર બ્રિજ પણ બુલેટ ટ્રેનની કામગીરીના કારણે પાંચ દિવસ બંધ રાખવામાં આવ્યો હતો. આજે 28 જાન્યુઆરીના રોજ કામગીરી પૂર્ણ થઈ જતા સવારથી શાહીબાગ અંડરબ્રિજ વાહન વ્યવહાર માટે શરૂ કરી દેવામાં આવ્યો છે. રોજના હજારોની સંખ્યામાં વાહનો અંડર બ્રિજમાંથી પસાર થતાં હોય છે ત્યારે પાંચ દિવસ માટે બંધ કરવામાં આવતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે બુલેટ ટ્રેનની કામગીરી ઝડપી પૂર્ણ થઈ જતા વાહન વ્યવહાર ફરી એકવાર શરૂ કરી દેવામાં આવ્યો છે. વાહન વ્યવહાર પૂર્વવત થઈ જતા લોકોને હાલાકી ઓછી પડશેમળતી માહિતી મુજબ, શહેરના પૂર્વ વિસ્તારમાં સૌથી વ્યસ્ત અને એરપોર્ટ તરફ જવા માટેનો શાહીબાગ અંડર બ્રિજ બુલેટ ટ્રેનની કામગીરીના કારણે 23 જાન્યુઆરીના રોજ બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે થઈને વાહન ચાલકોને શાહીબાગ ગિરધરનગર પાસેના ઓવર બ્રિજ તેમજ ડફનાળા રિવરફ્રન્ટ થઈને જવું પડી રહ્યું હતું. જોકે આજે 28 જાન્યુઆરીના રોજ કામગીરી પૂર્ણ થઈ જતા સવારથી જ શાહીબાગ અંડર બ્રિજને વાહન વ્યવહાર માટે શરૂ કરી દેવામાં આવ્યો છે. જેથી દિલ્હી દરવાજા તરફથી એરપોર્ટ લોકો જઈ શકશે, જ્યારે એરપોર્ટથી શહેરમાં આવવા માટે વાહન વ્યવહાર પૂર્વવત થઈ જતા લોકોને હાલાકી ઓછી પડશે.
મોરબીમાં ગુમ થયેલી બાળકી પરિવારને મળી:હેલ્પલાઈન ટીમોએ ત્રણ વર્ષની બાળકીનું પરિવાર સાથે કરાવ્યું મિલન
મોરબીમાં ઘરેથી નીકળી ગયેલી ત્રણ વર્ષની બાળકીનું 181અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ, ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પલાઇન ટીમ અને 112 જનરક્ષક ટીમે પરિવાર સાથે સફળતાપૂર્વક મિલન કરાવ્યું હતું. આ ઘટનાની શરૂઆત એક જાગૃત નાગરિકના 181 હેલ્પલાઇન પરના ફોનથી થઈ હતી. તેમણે મોરબીના રંગપર ગામમાં ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે એક ત્રણ વર્ષની બાળકી રસ્તામાં એકલી બેઠેલી જોઈ હતી. બાળકી કંઈ બોલી શકતી ન હતી અને આસપાસ કોઈ ન હોવાથી મદદની જરૂર હતી. માહિતી મળતા જ 181 ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ દક્ષાબેન પરમાર અને પાયલોટ અનિલભાઈ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બાળકી કંઈ પણ બોલી શકતી ન હોવાથી તેની ઓળખ મેળવવી મુશ્કેલ હતી. ત્રણેય ટીમોએ સંકલનમાં રહીને બાળકીને રેસ્ક્યુ વાનમાં બેસાડી આસપાસની તમામ કંપનીઓમાં તપાસ કરી હતી. ટીમે એક કંપનીના માલિક સાથે વાતચીત કરી અને મોરબી સિરામિક એસોસિએશન ગ્રુપમાં મેસેજ પણ મોકલ્યો હતો. પાંચ કલાક સુધી કોઈ માહિતી ન મળતા આસપાસના લોકો સાથે પણ વાતચીત કરવામાં આવી, પરંતુ કોઈ બાળકીને ઓળખતું ન હતું. ઘણા પ્રયત્નો પછી બાળકીના માતા-પિતાનો સંપર્ક નંબર મળ્યો. તેમની પાસેથી આધાર-પુરાવા માંગવામાં આવ્યા અને પુરાવા યોગ્ય જણાતા બાળકીના પિતા સાથે વાતચીત કરવામાં આવી. બાળકીના પરિવારના કાઉન્સેલિંગ દરમિયાન તેમણે જણાવ્યું કે તેઓ ઝારખંડના વતની છે અને છેલ્લા છ મહિનાથી મોરબીમાં એક કંપનીમાં મજૂરી કામ કરે છે. તેમની જાણ બહાર બાળકી અન્ય બાળકો સાથે એક દુકાન પર જવા માટે ઘરેથી નીકળી ગઈ હતી. સાંજે પાંચ વાગ્યે તેમણે બાળકીને ઘરે ન જોતા શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તે મળી ન હતી. ત્રણેય ટીમો દ્વારા બાળકીના પરિવારને સલાહ, સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમને પોલીસ સ્ટેશન વિશે કાયદાકીય માહિતી આપી અને બાળકીનું ધ્યાન રાખવા જણાવ્યું. આખરે, ટીમોએ બાળકીને તેના પરિવાર સાથે સુરક્ષિત રીતે સોંપી દીધી, જેના બદલામાં પરિવારે ટીમોનો આભાર વ્યક્ત કર્યો.
વલસાડમાં ₹1.50 કરોડનો વિદેશી દારૂ નષ્ટ કરાયો:53,480થી વધુ બોટલ ભિલાડ RTO ચેકપોસ્ટ પર નાશ કરાઈ
વલસાડ જિલ્લા પોલીસે ગેરકાયદેસર દારૂના ધંધા સામે કડક કાર્યવાહી કરતા ₹1.50 કરોડની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો નષ્ટ કર્યો છે. ભિલાડ RTO ચેકપોસ્ટ ખાતે 53,480થી વધુ બોટલ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. આ દારૂ વલસાડ તાલુકાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલા 133 કેસોમાં ઝડપાયો હતો. આ કાર્યવાહી 1લી નવેમ્બર 2025 થી 15મી જાન્યુઆરી 2026 દરમિયાન પ્રોહિબિશન એક્ટ હેઠળ ચલાવાયેલા વિશેષ ચેકિંગ અભિયાનનો ભાગ હતી. આ સમયગાળામાં વલસાડ સિટી, વલસાડ રૂરલ અને ડુંગરી પોલીસ મથકમાં કુલ 133 કેસ નોંધાયા હતા. જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસની ટીમોએ આ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા મુદ્દામાલના નાશ માટે નિયમ મુજબ SOP પ્રક્રિયાનું પાલન કરીને સંબંધિત કોર્ટના આદેશો મેળવવામાં આવ્યા હતા અને પ્રાંત અધિકારીઓને રજૂઆત કરાઈ હતી. મંજૂરી મળ્યા બાદ આજે ભિલાડ RTO ચેકપોસ્ટ ખાતે આ દારૂનો નાશ કરવામાં આવ્યો. આ પ્રક્રિયા દરમિયાન પારડી, ધરમપુર અને વલસાડ વિભાગના પ્રાંત અધિકારીઓ, નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ તેમજ સંબંધિત પોલીસ મથકોના અધિકારીઓ હાજર રહ્યા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, સરકારના ગૃહ વિભાગના ઠરાવ મુજબ કરાયેલી આ કાર્યવાહીથી જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેપાર સામે કડક અને સ્પષ્ટ સંદેશો પહોંચ્યો છે. ઝડપાયેલા દારૂના જથ્થાની વિગતો નીચે મુજબ છે: વલસાડ સિટી પોલીસ મથકે 43 કેસમાં ₹10.71 લાખની કિંમતની 5,133 બોટલ દારૂ ઝડપાઈ હતી. વલસાડ રૂરલ પોલીસ મથકે 63 કેસમાં ₹1.12 કરોડની કિંમતની 38,800 બોટલ દારૂ ઝડપાઈ હતી. જ્યારે વલસાડ ડુંગરી પોલીસ મથકે 27 કેસમાં ₹27.16 લાખની કિંમતની 9,539 બોટલ દારૂ ઝડપાઈ હતી.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા 2 માર્ચ, 2026ના રોજ પ્રથમ પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. નવા યુનિવર્સિટી કોમન એક્ટ હેઠળ યોજાનારા આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ઈસરો અમદાવાદના ડાયરેક્ટરની વિશેષ ઉપસ્થિતિ રહેશે. યુનિવર્સિટીના વડા મથક પાટણ ખાતે યોજાનારા આ સમારંભમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને ડિગ્રી એનાયત કરવામાં આવશે. કુલપતિ ડો. કિશોર પોરીયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતના રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. તેમની સાથે ઈસરો (ISRO) અમદાવાદના ડાયરેક્ટર પણ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. યુનિવર્સિટીના ઇતિહાસમાં પાટણ ખાતે યોજાનારો આ પહેલો પદવીદાન સમારંભ હોવાથી વહીવટી તંત્ર દ્વારા તેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ સમારોહમાં રાજ્યપાલના હસ્તે યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના છાત્રોને પદવી એનાયત કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યપાલ અને ઈસરો ડાયરેક્ટર ઉપરાંત અન્ય શિક્ષણ જગતના મહાનુભાવો પણ હાજર રહેશે.
છોટા ઉદેપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે સવારથી જી.આર.ડી. (ગ્રામ્ય રક્ષક દળ) ની ભરતી પ્રક્રિયા શરૂ થઈ છે. જિલ્લામાં ૧૨૦ જવાનોની ભરતી માટે કુલ ૧૪૮૫ યુવક-યુવતીઓએ ફોર્મ ભર્યા છે. બીઆ ભરતી પ્રક્રિયા આગામી ત્રણ દિવસ સુધી ચાલશે. જેમાં ઉમેદવારોની ઊંચાઈ, વજન અને દોડ જેવી વિવિધ શારીરિક કસોટીઓ લેવામાં આવી રહી છે. પોલીસ પ્રશાસન દ્વારા ભરતી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારો માટે મેડિકલ ટીમ, લીંબુ પાણી અને પીવાના પાણી સહિતની આવશ્યક સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.
હિંમતનગરમાં બંધ મકાનમાંથી ચાંદી અને રોકડની ચોરી:પરિવાર વતનમાં હતો ત્યારે તસ્કરો ત્રાટક્યા, તપાસ શરૂ
હિંમતનગરના ખેડ તસીયા રોડ પર આવેલા ગણેશ બંગ્લોઝમાં એક બંધ મકાનમાંથી ચાંદીના દાગીના અને રોકડની ચોરી થઈ છે. પરિવાર વતનમાં ગયો હતો ત્યારે તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું હતું. આ ઘટના અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદી વિષ્ણુભાઈ ડાહ્યાભાઈ પંચાલ, જેઓ ગણેશ બંગ્લોઝના મકાન નંબર 94 માં રહે છે, તેઓ બે દિવસ પહેલા પોતાના વતને ગયા હતા. આ દરમિયાન રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ ઘરના દરવાજાનો નકૂચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ કબાટના ડ્રોવરમાંથી ચાંદીના છડા અને રોકડ સહિત કુલ 40,000 રૂપિયાની મત્તાની ચોરી કરી હતી. ચોરીની જાણ થતાં જ વિષ્ણુભાઈ પંચાલે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઘટનાસ્થળે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે.
સુરત ઇન્કમટેક્સ વિભાગની DDI વિંગ દ્વારા આજે(28 જાન્યુઆરી, 2026) વહેલી સવારથી જ શહેરના નામાંકિત ઉદ્યોગપતિઓ પર આકરાં પગલાં લેતા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ દરોડામાં મહાકાલ ગ્રુપના અનિલ બગદાણા અને તેમના ભાગીદારો તરુણ ભગત તથા પ્રવિણ ભૂત, તેમજ લક્ષ્મી ડાયમંડના ધીરુ ગજેરાને નિશાન બનાવવામાં આવ્યા છે. આઈટી વિભાગના અધિકારીઓના મોટા કાફલાએ આ તમામ ઉદ્યોગપતિઓના ધંધાકીય સ્થળો, રહેણાંક મકાનો અને વિવિધ પ્રોજેક્ટ્સ પર તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મોટા પાયે ચાલી રહેલી આ કાર્યવાહીને પગલે સુરતના અન્ય વેપારી અને ઉદ્યોગ જગતમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
ટેકનોલોજીના યુગમાં રોકાણના નામે લોકોને છેતરતી ગેંગ સક્રિય બની છે, ત્યારે સુરત સાયબર ક્રાઇમ સેલે એક મોટી સફળતા મેળવી છે. ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી ટૂંકા સમયમાં માતબર વળતર આપવાની લાલચ આપી રૂ. 12.20 લાખની છેતરપિંડી આચરનાર આરોપી તેજસ મહેન્દ્રભાઇ સંઘવીની પોલીસે ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં પોલીસની ટેકનીકલ ટીમે આરોપીને ગોવાથી જામનગર જતી ચાલુ ટ્રેનમાંથી દબોચી લીધો હતો. ટુકડે-ટુકડે 12 લાખ અલગ-અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યાઆ ઠગબાજોની કાર્યપદ્ધતિ અત્યંત વ્યવસ્થિત અને ભેજાબાજ હતી. આરોપીઓએ ટેલીગ્રામ પર અલગ-અલગ ગ્રુપ બનાવી લોકોને ટાર્ગેટ કર્યા હતા. ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે આરોપીઓએ એવી લાલચ આપી હતી કે 'ક્રિપ્ટો કરન્સીના ટાસ્ક' પૂર્ણ કરવાથી અને તેમાં ઇન્વેસ્ટ કરવાથી ખૂબ જ ઊંચું વળતર મળશે. આ માટે તેઓએ એક બનાવટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. શરૂઆતમાં વિશ્વાસ જીત્યા બાદ ટાસ્ક પૂરા કરવાના બહાને ફરિયાદી પાસેથી ટુકડે-ટુકડે કુલ રૂ. 12,20,366.80 અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. શેરબ્રોકર જ સાયબર અપરાધીઓનો સાથીદાર બન્યોઝડપાયેલા આરોપીનું નામ તેજસ મહેન્દ્રભાઇ સંઘવી (ઉ.વ. 40) છે, જે જામનગરનો રહેવાસી છે. નવાઈની વાત એ છે કે, આરોપી બી.કોમ સુધી શિક્ષિત છે અને વ્યવસાયે શેર બ્રોકર છે. શેરબજારની સમજ ધરાવતો આ શખ્સ પોતે જ સાયબર અપરાધીઓનો સાથીદાર બની ગયો હતો. તેણે પોતાના નામે રહેલા બેંક ખાતાઓનો ઉપયોગ ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો માટે કરવા દીધો હતો. ફ્રોડના નાણા ઉપાડવા ચેકબુક મુખ્ય આરોપીઓને સોંપી હતીપોલીસ તપાસમાં બહાર આવ્યું કે, તેજસ સંઘવીએ પોતાની ઇન્ડિયન ઓવરસીઝ બેંક અને કર્ણાટકા બેંકના ખાતાઓ સાયબર ફ્રોડ કરતી ગેંગને 'કમિશન' પર આપ્યા હતા. એટલું જ નહીં, ફ્રોડના રૂપિયા સહેલાઈથી ઉપાડી શકાય તે માટે તેણે સહી કરેલા ચેકબુક પણ નાસતા ફરતા મુખ્ય આરોપીઓને સોંપી દીધી હતી. તેના ઇન્ડિયન ઓવરસીઝ બેંકના ખાતામાં રૂ. 5.79 લાખ અને કર્ણાટકા બેંકના ખાતામાં રૂ. 5 લાખ જમા થયા હતા, જે બાદમાં ઉપાડી લેવામાં આવ્યા હતા. પોલીસની ટીમે ચાલુ ટ્રેને દરોડો પાડી આરોપીને દબોચ્યો સાયબર ક્રાઇમ સેલને ટેકનીકલ સર્વેલન્સ દ્વારા બાતમી મળી હતી કે, આરોપી તેજસ સંઘવી ગોવાથી જામનગર તરફ જતી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો છે. સુરત સાયબર પોલીસે તાત્કાલિક ગુજરાત રેલવે પોલીસ સાથે સંકલન સાધ્યું હતું. ટેકનિકલ વિગતોના આધારે ટ્રેનનું લોકેશન ટ્રેક કરી પોલીસની ટીમે ચાલુ ટ્રેને દરોડો પાડી આરોપીને દબોચી લીધો હતો અને સુરત લઈ આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે એક મહત્વનો હુકમ જારી કરવામાં આવ્યો છે. લાંબા સમયથી ચર્ચામાં રહેલા અને અગાઉ ફરજ મોકૂફી હેઠળ રહેલા ફાયર ઓફિસર મહેશકુમાર આર. મોડની નિમણૂક હવે શહેરના સેક્ટર-30 ખાતે આવેલા મુક્તિધામની કામગીરી સંભાળવા માટે કરવામાં આવી છે. નાયબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ અંગેનો સત્તાવાર આદેશ કરવામાં આવ્યો છે. વહીવટી ઠરાવો અને સામાન્ય વહીવટ વિભાગના નિયમોને ધ્યાને રાખીને નિર્ણયગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના લેટેસ્ટ હુકમ મુજબ મહેશકુમાર આર. મોડ જેઓ અગાઉ સરગાસણ ખાતેની ફાયર ચોકીમાં ફાયર ઓફિસર તરીકે કાર્યરત હતા. તેમને તાત્કાલિક અસરથી નવી જવાબદારી સોંપવામાં આવી છે. અગાઉના વહીવટી ઠરાવો અને સામાન્ય વહીવટ વિભાગના નિયમોને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે. નોંધનીય છે કે સસ્પેન્શન પરથી પરત લેવામાં આવેલા અધિકારીઓને બિનસંવેદનશીલ જગ્યા પર નિમણૂક આપવાની જોગવાઈ અનુસાર તેમને આ નવી ફરજ સોંપાઈ છે. હાલમાં તેઓ રજા ઉપર ઉતરી ગયાફાયર સ્ટેશનથી મુક્તિધામ સુધીની સફર વાત કરીએ તો અગાઉ જ્યારે મહેશ મોડને સરગાસણ ફાયર ચોકી ખાતે મૂકવામાં આવ્યા હતા ત્યારે તેમને માત્ર ટ્રેનિંગ, ફાયર કોલ, પ્રોટોકોલ અને એએસએલ (ASL)ને લગતી કામગીરી જ જોવાની સૂચના અપાઈ હતી. જોકે હવે તંત્રએ તેમને ફાયર સ્ટેશનની કામગીરીમાંથી હટાવીને સેક્ટર-30 મુક્તિધામની વહીવટી અને આનુષંગિક કામગીરી સોંપવાનો નિર્ણય કર્યો છે. આ હુકમનો અમલ તાત્કાલિક અસરથી કરી પોતાની હાજરીનો રિપોર્ટ પણ રજૂ કરવાનો આદેશ કરાયો છે. જોકે હાલમાં તેઓ રજા ઉપર ઉતરી ગયા છે. બિનસંવેદનશીલ ગણાતી મુક્તિધામની કામગીરી સોંપાઈબીજી તરફ આ નિમણૂક એટલા માટે ચર્ચાસ્પદ બની છે કારણ કે આ હુકમની નકલ લાંચ રુશ્વત વિરોધી બ્યુરો, અમદાવાદના મુખ્ય પોલીસ અધિકારી અને નિયામકને પણ રવાના કરવામાં આવી છે. અગાઉ લાંચના કેસમાં સંડોવણીને કારણે તેઓ વિવાદમાં રહ્યા હતા અને તેના કારણે જ તેમને ફાયર વિભાગની મુખ્ય કામગીરીથી દૂર રાખીને બિનસંવેદનશીલ ગણાતી મુક્તિધામની કામગીરી સોંપવામાં આવી હોવાનું મનાય છે. કોર્પોરેશનના કડક વલણની મ્યુનિસિપલ વર્તુળોમાં ભારે ચર્ચાકોર્પોરેશનના આ કડક વલણથી મ્યુનિસિપલ વર્તુળોમાં ભારે ચર્ચાઓ જાગી છે. એક તરફ જ્યાં ફાયર ઓફિસર જેવી મહત્વની પોસ્ટ પર રહેલી વ્યક્તિને સ્મશાનગૃહની કામગીરી સોંપવી એ મોટી સજા સમાન ગણાય છે.ત્યારે બીજી તરફ વહીવટી તંત્ર તેને નિયમ મુજબની પ્રક્રિયા ગણાવી રહ્યું છે.
સીસીટીવી જાહેર કરવા મેનેજીંગ ટ્રસ્ટીનો ઇનકાર રાજકોટમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલ ઉઠ્યા છે. શહેરની જાણીતી ઉત્કર્ષ સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગઈકાલે આ શાળાનાં જ ત્રીજા માળેથી નીચે પટકાયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ દુર્ઘટના સાંજના સમયે બની હતી જ્યારે શાળામાં ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યા હતા. સદનસીબે નીચે પડતી વખતે આ વિદ્યાર્થીએ એસીના આઉટડોર યુનિટને પકડી લેતા તેનો ચમત્કારિક બચાવ થયો છે. જોકે, આટલી ગંભીર ઘટના બાદ પણ શાળા સંચાલકોએ પોલીસને જાણ કરી નથી. એટલું જ નહીં સીસીટીવી ફૂટેજ જાહેર કરવાનો ઈન્કાર કરતા આ મામલે અનેક શંકા-કુશંકાઓ જન્મી છે. અને સંચાલકો ભીનું સંકેલવા પ્રયાસ કરતા હોવાની ચર્ચા ઉઠી રહી છે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટની ઉત્કર્ષ સ્કૂલમાં સાંજે 5 થી 8 વાગ્યા દરમિયાન ટ્યુશન ક્લાસીસ ચાલે છે. જેમાં ગત સાંજે લગભગ 4:45 વાગ્યાના અરસામાં ધોરણ 11નો એક વિદ્યાર્થી ત્રીજા માળે પોતાના મિત્રો સાથે વાતચીત કરી રહ્યો હતો. તે સમયે અચાનક તે બારીમાંથી નીચે પટકાયો હતો. શાળાનાં મેનેજીંગ ટ્રસ્ટી વિમલભાઈ છાયાનાં જણાવ્યા મુજબ આ વિદ્યાર્થી જ્યારે નીચે પડી રહ્યો હતો ત્યારે તેણે દીવાલ પર લાગેલા એસી યુનિટને મજબૂતીથી પકડી લીધું હતું. બાદમાં તે ધીમેથી નીચેની પેરાપેટ (ધાબા) પર ઉતરી ગયો હતો. આ ઘટનામાં વિદ્યાર્થીને હાથના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જેને લઈને તેને તાત્કાલિક શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેના પરિવારજનો તેને વતન લઈ ગયા છે. સ્કૂલ મેનેજમેન્ટનો બચાવ આ મામલે ઉત્કર્ષ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી વિમલ છાયાએ મીડિયા સમક્ષ નિવેદન આપતા ઘટનાને સામાન્ય ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થી બારીએ નમ્યો હતો અને અચાનક બેલેન્સ ગુમાવતા આ દુર્ઘટના બની હતી. તે એસીના બોક્સ પર લટકી ગયો અને પછી નીચે ઉતરી ગયો હતો. તેને માત્ર સામાન્ય ઈજા થઈ છે. જોકે તેમને આ ઘટનાના સીસીટીવી ફૂટેજ બતાવવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ફૂટેજ જાહેર કરવાનો સાફ ઈન્કાર કરી દીધો હતો. તેમણે ઉમેર્યું હતું કે, આ એક અકસ્માત હોવાથી પોલીસને જાણ કરવાની જરૂર લાગી નથી, પરંતુ અમે ડીઈઓ (જિલ્લા શિક્ષણાધિકારી) ને આ અંગેનો સંપૂર્ણ ખુલાસો આપી દઈશું. વધુમાં તેમણે જણાવ્યું કે, ઘટના બનતા જ વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને પ્રાથમિક સારવાર અપાવવામાં આવી હતી. ત્યારબાદ તેના વાલીઓને જાણ કરી બોલાવી લેવામાં આવ્યા હતા અને હાલ વિદ્યાર્થી તેના વાલી સાથે પોતાના ઘરે છે. કોઈ શિક્ષકના ત્રાસ કે ઓછામાર્ક્સ આવવાને લઈ વિદ્યાર્થીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ચર્ચાઓને શાળા સંચાલકોએ સદંતર નકારી દીધી છે. તેમણે આ બાબતને પાયાવિહોણી ગણાવતા કહ્યું હતું કે, આવી કોઈ ઘટના બની નથી. તેમજ શાળામાં સેફ્ટીના પ્રશ્નો અંગે પૂછવામાં આવતા સંચાલકે જણાવ્યું હતું કે, શાળામાં બારીઓ અને અન્ય જગ્યાએ પૂરતી સેફ્ટીની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરતની આગની ઘટના બાદ આ પ્રકારની તમામ તકેદારીઓ રાખવામાં આવી રહી છે. એટલું જ નહીં આજરોજ કચેરીઓ ખુલ્યા બાદ ડીઈઓ (જિલ્લા શિક્ષણાધિકારી)ને જાણ કરવાની ખાતરી પણ તેમણે આપી છે. ઉલ્લેખનીય છે કે, ઘટનાને લઈને લોકોમાં અલગ-અલગ ચર્ચાઓએ જોર પકડ્યું છે. કેટલાક લોકોમાં એવું ચર્ચાઈ માની રહ્યા છે કે શિક્ષકે ઠપકો આપતા લાગી આવ્યું હોય વિદ્યાર્થીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમજ અન્ય વિદ્યાર્થી અથવા શિક્ષકે ધક્કો માર્યો હોવાથી આ દુર્ઘટના સર્જાઈ હોવાની પણ ચર્ચા કે છે. શાળામાં સુરક્ષાના સાધનો અને જાળીની સુવિધાના અભાવે પણ સવાલો ઉભા થયા છે. જોકે શાળા સંચાલકે તમામ બાબતોને પાયાવિહોની ગણાવી છે. પરંતુ સૌથી ગંભીર બાબત છે કે ત્રીજા માળેથી બાળક નીચે પડવા છતાં શાળા તંત્રએ તેને 'સામાન્ય ઘટના' ગણાવી પોલીસને જાણ કરી નથી. આ વિદ્યાર્થી હાલ ખતરાની બહાર છે, ત્યારે ડીઇઓ દ્વારા આ મામલે ક્યારે અને શું પગલાં લેવાશે તે જોવું રહ્યું.
વડોદરા શહેરના પાણીગેટ, ગાજરાવાડી અને લાલબાગ ટાંકી વિસ્તારના રહીશો માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે. MGVCL દ્વારા આગામી 29 જાન્યુઆરી, 2026ને ગુરુવારના રોજ જાહેર કરવામાં આવેલા પાવર શટડાઉનને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો પ્રભાવિત થશે. આ વિસ્તારોમાં પાણીના સમયમાં ફેરફારઆજરોજ જાહેર કરવામાં આવેલા પાવર શટડાઉનના કારણે પાણીગેટ અને ગાજરાવાડી ટાંકી હેઠળના વિસ્તારોમાં સવારે 6થી 8.30 દરમિયાન પાણી મેળવતા વિસ્તારોમાં, સવારે 5થી 5.30 શહેર વાડી વિસ્તાર, પાણીગેટથી માંડવી, મેમણ કોલોની, આજવા રોડ મહાવીર ચાર રસ્તા સુધી, અમન સોસાયટી, કોટયાર્ક નગર, ગોવિંદસવ પાર્ક, બાવચાવાડ, જૂની વોર્ડ-9 ઓફિસ વગેરેમાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શટડાઉન પૂર્ણ થયા બાદ લો-પ્રેશરથી પાણી મળવાની શક્યતાઆ સાથે શહેરના એમ.જી.રોડથી પથ્થર ગેટ તરફનો વિસ્તાર, ઘડિયાળી પોળ, બરાનપુરાથી માર્કેટ ચાર રસ્તા સુધીના વિસ્તારમાં સવારે 5.50થી 6.40 અને કિશનવાડી ગધેડા માર્કેટ, નવજીવન, ગુ.હા. બોર્ડ, રાવપુરા વિસ્તારમાં સવારે 6.30થી 7 વાગ્યા સુધી પાણી પુરવઠો વિતરણ કરવામાં આવશે.શટડાઉન પૂર્ણ થયા બાદ સાંજના સમયે આ વિસ્તારોમાં પાણી કાપ અથવા લો-પ્રેશર (હળવા દબાણ)થી પાણી મળવાની શક્યતા છે. જેથી આ જરૂરી ફેરફારોને ધ્યાનમાં લઈ પાણીનો સંગ્રહ કરવા અને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. લાલબાગ ટાંકી ખાતે પમ્પિંગ મશીનરી ચાલી શકાશે નહીંબીજી તરફ શહેરના લાલબાગ ટાંકી ખાતે સવારે 6થી 10 દરમિયાન વીજ પુરવઠો બંધ રહેવાને કારણે પમ્પિંગ મશીનરી ચલાવી શકાશે નહીં. જેના કારણે S.R.P.F પોલીસ લાઈન અને નવાપુરા વિસ્તારમાં સવારે 7થી 8 દરમિયાન પાણી મળશે. જ્યારે સિંધવાઈ માતા, લાલબાગ કુંભારવાડા, ડેરી અને મકરપુરા વિસ્તારમાં સવારે 8.30થી 9:30 દરમિયાન પાણી મળશે. આ વિસ્તારોમાં પણ પાણી વિલંબથી અને ઓછા દબાણથી આવવાની શક્યતા હોવાથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
સુરત શહેરના વ્યસ્ત ગણાતા સહારા દરવાજા વિસ્તારમાં આવેલી સરદાર માર્કેટમાં આજે(28 જાન્યુઆરી) સવારે આગની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. માર્કેટમાં આવેલા ફ્રુટ પેકેજિંગના એક ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. ફાયર વિભાગને એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે. પુઠ્ઠાના બોક્સ અને પ્લાસ્ટિકના કેરેટથી આગે વિકરાળ રૂપ લીધુંસરદાર માર્કેટમાં ફ્રુટ માર્કેટની નજીક બે દુકાનોને જોડીને મોટું એક ગોડાઉન આવેલું છે. આ ગોડાઉનમાં ફ્રુટ પેક કરવા માટેના પુઠ્ઠાના બોક્સ અને પ્લાસ્ટિકના કેરેટનો મોટો જથ્થો સંગ્રહિત હતો. આજે વહેલી સવારે આ ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. જ્વલનશીલ સામગ્રી હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. એક કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યોઆગની જાણ થતા જ સ્થાનિક વેપારીઓ અને કામદારોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ડુંભાલ અને માન દરવાજા ફાયર સ્ટેશનની કુલ 4 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી અંદાજે એક કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. ગોડાઉનમાં રહેલો 70 ટકા સામાન બળીને ખાખસદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જેનાથી તંત્ર અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. પ્રાથમિક અંદાજ મુજબ ગોડાઉનમાં રહેલો 70 ટકા જેટલો સામાન બળીને ખાખ થઈ ગયો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા સેવાઈ રહી છે.
ભાવનગર LCB પોલીસે 27 જાન્યુઆરીએ તળાજા તાલુકાના પીથલપુર ગામમાં કરેલી રેડ દરમિયાન રૂ. 2.65 લાખનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો હતો. જોકે, આ બનાવમાં આરોપી સ્થળ પર હાજર મળ્યો ન હતો. જેને લઇ શખ્સ વિરુદ્ધ દાઠા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દારૂ વેચાણની બાતમી મળી હતી27 જાન્યુઆરી, 2026એ LCB પોલીસ સ્ટાફ દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન બાતમી મળી હતી કે અલ્પેશભાઇ મનાભાઇ ભીલ રહે. પીથલપુર, તા.તળાજાના તેના રહેણાંકીય મકાનની પાછળ આવેલી બંધ ઓરડીમાં ઇંગ્લીશ દારૂ રાખી વેચાણ કરે છે. કુલ રૂ. 2,65,200નો મુદ્દામાલ જપ્તજે જગ્યાએ રેડ કરતાં ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં કુલ રૂ. 2,65,200નો મુદ્દામાલ મળી આવ્યો હતો. રેડ દરમિયાન તળાજા તાલુકાના પીથલપુરનો રહેવાસી અલ્પેશ મનાભાઇ ભીલ હાજર મળ્યો નહોતો. તેની વિરૂદ્ધ ભાવનગર, દાઠા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વડોદરા શહેરના જૂના પાણીગેટ પોલીસ સ્ટેશન સામે જ ગત રાત્રે (28 જાન્યુઆરી)એ ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં વિશાલ કહાર નામના યુવકે મોહંમદ હુસૈન ઝુલફીકાર અલી સૈયદને ઉપરા-છાપરી છરાના ઘા ઝિંકી આંતરડાં બહાર કાઢી નાખ્યા હતાં. લોકોએ મો.હુસૈન ઝુલ્ફીકારને બચાવી 108 મારફતે સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યારે આ હુમલાને અંજામ આપનાર વિશાલ ભાગી છુટ્યો હતો. આ હુમલો આડા સંબંધને કારણે કરવામાં આવ્યો હોવાની પોલીસને શંકા છે. ઘટના બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.જ્યારે આ હુમલામાં ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ મામલે પોલીસે હત્યા કરનાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. વડોદરાના પાણીગેટ પોલીસસ્ટેશન સામે જ હત્યાનો બનાવવડોદરાના પાણીગેટ વિસ્તારમાં યુવકની આડાસંબંધની શંકામાં હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુવકે પત્નીના પૂર્વ પ્રેમીને સરાજાહેર છરીના ઘા મારી પતાવી દીધો. જે બાદ આરોપી ફરાર થઈ જતાં પોલીસે યુવકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. લોકોએ બચાવવાનો પ્રયાસ કર્યો તો વિશાલે પગે છરા માર્યાઆ ઘટના સમયનો એક વીડિયો પણ વાઇરલ થયો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે, આરોપી વિશાલ કહાર મોટા છરા સાથે પાણીગેટના મો.હુસેન પર તૂટી પડ્યો હતો. પહેલો ઘા વાગતા જ યુવક નીચે પડી ગયો હતો, જે બાદ હુમલાખોરે છરાના ઉપરાછાપરી ઘા મારવાના શરૂ કર્યા હતા. આ જોઈ ત્યાંના આસપાસના લોકો ઈજાગ્રસ્તને બચાવવા આવ્યા હતા અને હુમલાખોરને ખેંચીને લઈ જતા અને સાથે ઈજાગ્રસ્તને પણ અન્ય વ્યક્તિ લઈ જતો હતો. ત્યારે આરોપીએ તેના પગ ખેંચી ફરીથી છરા માર્યા હતા. આડા સંબંધની શંકામાં હત્યા થઈ હોવાની પરિવારને શંકાપરિવારજનોનું કહેવું છે કે, યુવક પર હુમલો કરનાર વિશાલ કહાર હતો. મૃતક યુવકને છુટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો ત્યારે વિશાલ આ યુવકની પૂર્વ પત્નીને રીક્ષામાં લાવતો-લઇ જતો હતો. છુટાછેડા બાદ વિશાલે મૃતક યુવકની પત્ની સાથે લગ્ન કર્યા હોવાની વિગતો સામે આવી છે. આ હત્યા આડા સંબંધોમાં થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાઆ સમગ્ર ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે અલગ લગ ટીમો બનાવી હત્યાને અંજામ આપનાર હત્યારાને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ યુવકના મોતને લઈ પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. હાલમાં યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં ખસેડવામાં આવ્યો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા બર્ફીલા પવનોના કારણે ભાવેણું ફરી એક વાર ઠંડુગાર થયું ભાવનગર શહેર જિલ્લામાં માત્ર 24 કલાકનાં ટૂંકા ગાળામાં લઘુતમ તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પૂર્વત્તરના બર્ફીલા પવનોના કારણે લઘુતમ તાપમાનમાં 4.4 ડિગ્રીનો કડાકો નોંધાયો છે વહેલી સવારે હાડ થીજાવી દેતી ઠંડીના કારણે જાહેર જન જીવન પ્રભાવિત થયું છે, દરિયાકાંઠાના જિલ્લા એવા ભાવનગરમાં પણ માત્ર એક જ રાતમાં કડકડતી ઠંડી એ પોતાનું સ્થાન પરત લીધું છે ભાવનગરમાં ગતરોજ મંગળવારે મહત્તમ તાપમાન 29.8 લઘુત્તમ તાપમાન 18 વાતાવરણમાં ભેજનું પ્રમાણ 48 ટકા અને પવનની ઝડપ 12 કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી, પરંતુ આજે સવારે લઘુત્તમ તાપમાન ઘટીને 13.6 ડીગ્રી જ્યારે ભેજનું પ્રમાણ 64 ટકા અને 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હિમભર્યા સૂકા પવનો ફૂંકાયા હતા, ગત બે દિવસથી લોકોને લાગી રહ્યું હતું કે હવે ગોહિલવાડમાં ઠંડીના વળતા દિવસો શરૂ થયા છે અને આમ પણ મકરસંક્રાંતિ પર્વ બાદ વસંત પંચમી થી શિયાળાનો સમાપન સમય શરૂ થતો હોય છે, પરંતુ ગ્લોબલ વોર્મિંગ અને વૈશ્વિક સ્તરે સતત બદલાઈ રહેલ આબોહવાના કારણે વાતાવરણમાં ધરખમ ફેરફારો નોંધાઈ રહ્યા છે, સમગ્ર રાજ્ય સાથે ભાવનગર શહેર જિલ્લામાં પણ આ વખતે ઠંડી મોડેથી શરૂ થઈ હતી અને હાલમાં છેલ્લા બે સપ્તાહ કરતાં વધુ સમયથી ઠંડીનો ચરમ સમય ચાલી રહ્યો છે ત્યારે આવનાર ફેબ્રુઆરી માસમાં પણ ઠંડીથી રાહત મળે એવી સંભાવના નહિવત્ જોવાઈ રહી છે, આજે જનજીવન કાતિલ ઠંડીના કારણે પ્રભાવિત જણાયું હતું વહેલી સવારે જાહેર માર્ગો સુમસામ જણાયા હતા, લોકોએ કામ સિવાય બહાર નીકળવાનું ટાળ્યું હતું, મોર્નિંગ માટે નીકળતા લોકોની સંખ્યામાં પણ આજે ઘટાડવા જોવા મળ્યો હતો, ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના ગામડાઓમાં શહેરની તુલનાએ વધુ ઠંડી જોવા મળી હતી.
ગુજરાત યુનિવર્સિટીમાંથી દારૂની ખાલી બોટલો મળી:D બ્લોકના ધાબે મોંઘી દારૂની અનેક બોટલો મળી આવી
શિક્ષણના ધામમાં ફરી એકવાર દારૂની બોટલો મળી આવી છે. ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં ધાબેથી મોટી સંખ્યામાં દારૂની ખાલી બોટલો મળી આવી છે. હોસ્ટેલમાં D બ્લોકના ધાબે મોડી રાતે મોંઘી દારૂની અનેક બોટલો મળી આવી છે, જેને લઈને અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. અગાઉ પણ શિક્ષણમંત્રી યુનિવર્સિટીની મુલાકાતે આવ્યા હતા ત્યારે પણ તેમના હાથે દારૂની બોટલ લાગી હતી. સમગ્ર મામલે દિવ્ય ભાસ્કરે ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલમાં વોર્ડનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંપર્ક થઈ શક્યો નથી. હોસ્ટેલમાં દારૂની પાર્ટી થતી હોવાની ચર્ચાગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં જ યુનિવર્સિટીની ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ આવેલી છે. ગત(27 જાન્યુઆરી, 2026) મોડી રાતે ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલના D બ્લોકના ધાબેથી દારૂની બોટલો મળી આવી હતી. એક, બે નહીં પરંતુ અનેક દારૂની બોટલો મળી આવતા હોસ્ટેલમાં દારૂની પાર્ટી થતી હોવાની શંકા છે. હોસ્ટેલમાં સિક્યુરિટી ગાર્ડ અને વોર્ડન હાજર હોવા છતાં આટલી મોટી સંખ્યામાં દારૂની બોટલો મળતા અનેક સવાલ ઊભા થયા છે. અગાઉ ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં ગાંજાના છોડ મળ્યા હતાઅગાઉ ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાંથી જ ગાંજાના છોડ મળી આવ્યા હતા. કોઈ અજાણ્યા શખ્સે હોસ્ટેલમાં એક ખૂણામાં ગાંજાની ખેતી કરી હતી જેનો વિદ્યાર્થી સંગઠને પર્દાફાશ કરીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ગુજરાત યુનિવર્સિટીમાં સફાઇ કરતા ઋષિકેશ પટેલને દારૂની ખાલી બોટલ મળી ગુજરાત યુનિવર્સિટીમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિતે સ્વચ્છતા એ જ સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ હાજર રહ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ અલગ અલગ સ્વચ્છતાના પોસ્ટર સાથે ઋષિકેશ પટેલનું સ્વાગત કર્યું હતું. તેમજ ઋષિકેશ પટેલે સ્વચ્છતા એ જ સંકલ્પ કાર્યક્રમને લઈને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને વિદેશી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. વિદ્યાર્થીઓ સાથેના સંવાદ બાદ ઋષિકેશ પટેલે યુનિવર્સિટી કેમ્પસમાં સફાઈ પણ કરી હતી. આ સફાઈ દરમિયાન તેમને યુનિવર્સિટીમાંથી ખાલી દારૂની બોટલ મળી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
સુરેન્દ્રનગરમાં જિલ્લા પંચાયતના સદસ્યના પુત્ર સત્યજીતસિંહ પરમાર પર ફાયરિંગ થયું હતું. કાર પાર્કિંગના મુદ્દે થયેલી બોલાચાલી બાદ એક નિવૃત્ત પોલીસકર્મીએ ગોળીબાર કર્યો હતો, જેમાં સત્યજીતસિંહને પગમાં ઈજા થઈ હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના જૂની અદાવત અને કાર પાર્ક કરવાના મામલે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ બની હતી. એએસપી વેદીકા બિહાનીએ જણાવ્યું કે, બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એક ગોળી માથાની નજીકથી મિસ ફાયર થઈ હતી, જ્યારે બીજી ગોળી સત્યજીતસિંહના પગમાં વાગી હતી. ઈજાગ્રસ્ત સત્યજીતસિંહ પરમારને સૌપ્રથમ મૂળી ખાતે પ્રાથમિક સારવાર અપાઈ હતી, ત્યારબાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બંદોબસ્ત ગોઠવી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચમાં જિલ્લા પંચાયત દ્વારા વહેલી સવારે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા પંચાયતની હદમાં આવેલી બાલાપીર-માસુમપીર નામની બે દરગાહોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવી હતી. આ કાર્યવાહી સવારના આશરે 4 વાગ્યાના સમયે શરૂ કરવામાં આવી હતી. આ દરગાહો ભરૂચ શહેરના સીટી સેન્ટર સામે આવેલા જિલ્લા પંચાયતના શોપિંગ સંકુલની હદમાં આવેલી હતી. જિલ્લા પંચાયત દ્વારા આ દરગાહોને હટાવવા માટે અગાઉ તેના ટ્રસ્ટીઓને નોટિસ આપવામાં આવી હતી. નોટિસ બાદ આજે વહેલી સવારે એસડીએમ મનીષા મનાણી, જિલ્લા પંચાયતના અધિકારીઓ, શહેર એ.ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આર.એમ. વસાવા, બે પીએસઆઈ સહિત 40 પોલીસ કર્મચારીઓ અને 30 હોમગાર્ડ જવાનોની હાજરીમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી. બે જેસીબી અને ત્રણ ટ્રેક્ટરોની મદદથી દરગાહો તોડી પાડવામાં આવી હતી. દરગાહો તોડી પાડ્યા બાદ જિલ્લા પંચાયત દ્વારા અગાઉ બનાવવામાં આવેલા અને હાલ બંધ હાલતમાં રહેલા 36 દુકાનોના શોપિંગ કોમ્પ્લેક્સને પણ તોડી પાડવાની કામગીરી કરવામાં આવી હતી. વહેલી સવારે ડિમોલેશન શરૂ થતા જ દરગાહના ટ્રસ્ટીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે આ દરગાહ વર્ષોથી આ સ્થળે આવેલી છે અને આ મામલે તેઓ હાઈકોર્ટમાં ગયા હતા, જ્યાંથી તેમને સ્ટે મળ્યો હતો. જોકે, સ્ટેની સમયમર્યાદા પૂર્ણ થતાં હાઈકોર્ટે તેમને નીચલી કોર્ટમાં જવા આદેશ કર્યો હતો, જે અંગેની કાનૂની પ્રક્રિયા ચાલુ હોવાનું ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું. કાનૂની પ્રક્રિયા પૂર્ણ થવા પૂર્વે જ તંત્ર દ્વારા ડિમોલેશન કરવામાં આવતા ટ્રસ્ટીઓમાં રોષ જોવા મળ્યો હતો. સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ગુજરાતમાં શરદી-ઉધરસના કેસોમાં નોંધપાત્ર વધારો:વલસાડ સહિત રાજ્યભરમાં આરોગ્ય વિભાગ એલર્ટ
ગુજરાતમાં બદલાતા હવામાન અને શિયાળાની ઋતુના પ્રભાવને કારણે સીઝનલ ફ્લૂ, શરદી, ઉધરસ અને ઈન્ફલ્યુએન્ઝા જેવા લક્ષણો ધરાવતા કેસો (ILI/ARI)માં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લા સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં કેસોની સંખ્યા વધતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે અને સર્વેલન્સ સઘન બનાવવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ, વલસાડ જિલ્લામાં ઓક્ટોબર 2025 થી જાન્યુઆરી 2026 દરમિયાન કુલ 3,907 ILI/ARI કેસ નોંધાયા છે. આમાં સૌથી વધુ 1,581 કેસ વલસાડ તાલુકામાં જોવા મળ્યા છે, ત્યારબાદ વાપી ULBમાં 783, પારડીમાં 682, ધરમપુરમાં 492, કપરાડામાં 477 અને ઉમરગામમાં 384 કેસ નોંધાયા છે. જાન્યુઆરી મહિનામાં નાનાપોઢા વિસ્તારમાં 56 નવા કેસ સામે આવ્યા હતા. માસિક આંકડા દર્શાવે છે કે ઓક્ટોબર 2025માં 1,126 કેસ નોંધાયા હતા, જે નવેમ્બરમાં વધીને 1,187 થયા. ડિસેમ્બર મહિનામાં સૌથી વધુ 1,349 કેસ નોંધાયા હતા, જ્યારે જાન્યુઆરી 2026માં કેસોની સંખ્યા ઘટીને 1,028 થઈ હતી. વલસાડ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ સીઝનલ ફ્લૂનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં નવેમ્બર મહિનામાં અંદાજે 4,985 કેસ સાથે સૌથી વધુ કેસ નોંધાયા હતા. મોરબી, સુરેન્દ્રનગર, સુરત અને તાપી જિલ્લામાં પણ કેસોની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. વધતા કેસોને ધ્યાનમાં રાખીને, આરોગ્ય વિભાગે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. વિભાગે લોકોને ભીડભાડવાળી જગ્યાઓમાં માસ્ક પહેરવા, સ્વચ્છતા જાળવવા, ગરમ પાણીનું સેવન કરવા અને શરદી, ખાંસી કે તાવ જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકની સરકારી આરોગ્ય સંસ્થામાં તપાસ કરાવવાની અપીલ કરી છે. નિષ્ણાતો બાળકો, વૃદ્ધો અને દીર્ઘકાલીન રોગોથી પીડિત લોકોને ખાસ કાળજી રાખવાની સલાહ આપે છે.
વલસાડ LCB અને રૂરલ પોલીસે પારનેરા હાઇવે પરથી વિદેશી દારૂની હેરાફેરીના કેસમાં સંડોવાયેલા બે વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી 24.74 લાખ રૂપિયાના દારૂના જથ્થા સાથે સંકળાયેલી છે. વલસાડ LCB ટીમને 16 ડિસેમ્બરના રોજ બાતમી મળી હતી કે મહારાષ્ટ્રમાંથી સુરત તરફ સફેદ રંગના બંધ બોડી ટેમ્પો (નંબર MH-04-HY-8309) મારફતે વિદેશી દારૂની ગેરકાયદે હેરાફેરી થઈ રહી છે. આ બાતમીના આધારે LCB ટીમે પારનેરા હાઇવે પર જૈન મંદિર સામે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન શંકાસ્પદ ટેમ્પો આવતા તેને રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસમાં ટેમ્પોમાંથી 24.74 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ટેમ્પોના ચાલકને સ્થળ પરથી જ ઝડપી લેવામાં આવ્યો હતો. આ કેસમાં દારૂ અને ટેમ્પો સહિત કુલ 39.79 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. વલસાડ રૂરલ પોલીસ મથકે આ અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો. વલસાડ રૂરલ પોલીસે કેસની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા અને વોન્ટેડ રહેલા 28 વર્ષીય શિવકુમાર રામદયાલ ચમાર અને 20 વર્ષીય આસકરણ શિવકરણ ચમારની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ગોઈમાં ગામે એક 15 વર્ષીય કિશોરીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ ઘટના ગોઈમાં ગામના કેરપાડા ફળિયામાં બની હતી, જ્યાં મીનાલીબેન વિષ્ણુભાઈ પટેલ નામની ધોરણ-11ની વિદ્યાર્થિનીએ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ 27 જાન્યુઆરી, 2026ના રોજ બન્યો હતો. મૃતક મીનાલી રોહિણા સ્થિત ઈશ્વરભાઈ છોટુભાઈ દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં ધો. 11 માં અભ્યાસ કરતી હતી. ઘટનાના દિવસે તેના પિતા વિષ્ણુભાઈ મજૂરી કામે અને માતા નોકરીએ ગયા હતા. બપોરે મીનાલીની ક્લાસ ટીચર રીટાબેને તેના પિતાને જાણ કરી હતી કે મીનાલી શાળામાં પરીક્ષા હોવા છતાં ગેરહાજર છે. આ માહિતી મળતાં મીનાલીના પિતા ચિંતિત થયા હતા અને તેમણે તાત્કાલિક પોતાના નાના ભાઈને ફોન કરીને ઘરે દીકરીની હાજરી તપાસવા જણાવ્યું હતું. નાના ભાઈએ પોતે વાપી કામ માટે ગયો હોવાનું અને તેમની પત્ની ઘરે હોવાનું જણાવ્યું. મીનાલીની કાકીએ રૂમમાં તપાસ કરતાં દરવાજો અંદરથી બંધ જણાયો. દીવાલ પરથી જોતા મીનાલી પતરાના શેડમાં લાકડાના આડા સાથે ઓઢણી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં લટકતી મળી આવી હતી. પાડોશીઓની મદદથી તેને નીચે ઉતારવામાં આવી અને બચાવવાના તમામ પ્રયાસો કરાયા, પરંતુ મીનાલીનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. ઘટનાની જાણ થતાં ગામના સરપંચ દ્વારા પારડી પોલીસને માહિતી અપાઈ હતી. પારડી પોલીસ મથકની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રોહિણા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પિતા વિષ્ણુભાઈના નિવેદન અનુસાર, દીકરીએ આ અંતિમ પગલું કયા કારણોસર ભર્યું તે હજી સ્પષ્ટ થયું નથી. પોલીસે BNSની કલમ 194 મુજબ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

28 C