ઈડરના ડુંગર પર લાગેલી આગ 12 કલાકે બુઝાઈ:27 હજાર લીટર પાણીનો ઉપયોગ, વન્યજીવો પર ખતરો
સાબરકાંઠા જિલ્લાના ઈડરના ડુંગરોમાં ગુરુવારે બપોરે લાગેલી આગને ઈડર અને હિંમતનગર ફાયર વિભાગે 12 કલાકની જહેમત બાદ રાત્રે બુઝાવી હતી. આ ઘટનામાં 27 હજાર લીટર પાણીનો ઉપયોગ થયો હતો, જેના કારણે ડુંગરો પરના વન્યજીવો પર ખતરો તોળાઈ રહ્યો છે. ગુરુવારે બપોરે 3 વાગ્યા આસપાસ આગ લાગી હોવાનો કોલ ઈડર ફાયર વિભાગને મળ્યો હતો. તાત્કાલિક ત્રણ ફાયર ફાઈટર સાથે ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ વધુ પ્રસરી હોવાથી હિંમતનગર ફાયર ટીમને પણ બોલાવવામાં આવી હતી. ઈડર ફાયર વિભાગના કમલભાઈ પટેલે જણાવ્યું કે, ચાર ફાયર ફાઈટર અને 20 ફાયર ટીમના જવાનોએ ખડેપગે રહીને 12 કલાક સુધી કામગીરી કરી હતી. આ દરમિયાન કુલ 27 હજાર લીટર પાણીનો મારો ચલાવીને રાત્રે 3 વાગ્યા આસપાસ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. બીજી તરફ, ઈડર વન વિભાગના RFO ગોપાલભાઈ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોઈ શકે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ ડુંગર વન વિભાગના કાર્યક્ષેત્રમાં આવતો નથી, પરંતુ ખાનગી માલિકીનો છે. તેથી, આગ બુઝાવવાનો વિષય ફાયર વિભાગનો છે. ઈડરના ડુંગરોમાં વારંવાર આગ લાગવાના બનાવો બનતા રહે છે, જે પર્યાવરણ અને વન્યજીવો માટે ચિંતાનો વિષય છે.
જીનિયસ ઇન્ટરનેશનલ સ્કૂલના બાલવાટિકા અને ધોરણ 1થી 4ના વિદ્યાર્થીઓએ પ્રસિદ્ધ યાત્રાધામ પાળીયાદ સ્થિત ગૌશાળાની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, જીવદયા અને ગૌ-સેવા પ્રત્યેના મૂલ્યોનું સિંચન કરવાનો હતો. મુલાકાત દરમિયાન, વિદ્યાર્થીઓએ ગૌશાળામાં ગાયોની માવજત, તેમના ખોરાક (ઘાસચારો) અને સ્વાસ્થ્યની કાળજી કેવી રીતે રાખવામાં આવે છે તેની વિગતવાર માહિતી મેળવી હતી. ગૌશાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને ગાયના દૂધની ગુણવત્તા તેમજ ગૌમૂત્ર અને છાણમાંથી બનતી વિવિધ બનાવટો અને તેના આર્યુવેદિક મહત્વ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ગાયોને ઘાસચારો ખવડાવવાનો અનુભવ મેળવ્યો હતો અને અબોલ જીવો પ્રત્યે કરુણા દાખવવાની પ્રેરણા લીધી હતી. આ પ્રકારની શૈક્ષણિક મુલાકાતો બાળકોને આપણી સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથે જોડી રાખવા માટે અનિવાર્ય છે, જે સેવાભાવના અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી વધારવામાં મદદરૂપ થાય છે. આ શૈક્ષણિક પ્રવાસમાં સંસ્થાના શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. ગૌશાળાના સ્વયંસેવકોએ વિદ્યાર્થીઓને સંપૂર્ણ પરિસરની મુલાકાત કરાવી હતી અને તેનું મહત્વ સમજાવ્યું હતું.
તન્વી બ્લોચની કુસ્તીમાં વિજયકૂચ:ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટ માટે પસંદગી
ભવન્સ એચ.જે. દોશી કોલેજની વિદ્યાર્થિની તન્વી બ્લોચની કુસ્તીમાં ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી (વેસ્ટ ઝોન) ટુર્નામેન્ટ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમમાં પસંદગી થઈ છે. આ ટુર્નામેન્ટ હરિયાણા ખાતે યોજાશે. તન્વીએ પસંદગી પ્રક્રિયા દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. તેણે સતત ત્રણ મેચમાં વિજય મેળવીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી હતી, જેના આધારે તેની પસંદગી નિશ્ચિત થઈ. આગામી ૧૭ માર્ચ, ૨૦૨૬ થી ૨૦ માર્ચ, ૨૦૨૬ દરમિયાન કુરુક્ષેત્ર યુનિવર્સિટી, હરિયાણા ખાતે ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી (વેસ્ટ ઝોન) કુસ્તી (બહેનો) ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તન્વી આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમનું પ્રતિનિધિત્વ કરશે. તન્વીની આ સિદ્ધિ બદલ કોલેજ પરિવારમાં ખુશીનો માહોલ છે. પ્રિન્સિપાલ ડો. તૌસિફખાન પઠાણ, વાઇસ પ્રિન્સિપાલ ડો. રવી ઓઝા, સમગ્ર મેનેજમેન્ટ સભ્યો અને અધ્યાપકગણે તેને અભિનંદન પાઠવ્યા છે. કોલેજ પરિવારે જણાવ્યું કે તન્વીએ માત્ર કોલેજનું જ નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે. તમામ સ્ટાફ મિત્રોએ તેને આગામી નેશનલ ટુર્નામેન્ટમાં પણ વિજેતા બનીને પરત ફરવા માટે શુભેચ્છાઓ પાઠવી છે.
ભરૂચ જિલ્લામાં આવતીકાલે, ૧૪ માર્ચે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે બે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જિલ્લા પંચાયત દ્વારા નિર્મિત રેસ્ટ હાઉસ કમ કોમર્શિયલ કોમ્પ્લેક્સ, તેમજ ભરૂચ સહિત ઝઘડિયા, હાંસોટ અને આમોદ તાલુકા મથકો ખાતેના આદર્શ જનસેવા કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારબાદ મુખ્યમંત્રી સ્વામિનારાયણ મંદિર, ઝાડેશ્વર ખાતે લોકોને સંબોધન કરશે. ભરૂચના નાગરિકોની સુખાકારી અને યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે બે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ્સ ભરૂચ શહેરને નવી ઓળખ આપશે. રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભરૂચ શહેરમાં રૂ. ૫ કરોડના ખર્ચે એક ભવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ થયું છે. આ કોમ્પ્લેક્સમાં જીમ, મલ્ટીપર્પઝ હોલ, યોગા સેન્ટર, ઇન્ડોર સ્પોર્ટ્સ હોલ અને બેડમિન્ટન કોર્ટ સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રૂ. ૧૦.૯૧ કરોડના ખર્ચે તૈયાર થયેલ અન્ય એક અત્યાધુનિક સ્પોર્ટ્સ સંકુલનું પણ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને એક જ સ્થળેથી વિવિધ સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બને તે માટે કુલ રૂ. ૧૮૧ લાખના ખર્ચે જનસેવા કેન્દ્રોના આધુનિકીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત ભરૂચ જિલ્લાના તમામ ૯ તાલુકાઓમાં ડિજિટલ સુવિધાઓથી સજ્જ આદર્શ જનસેવા કેન્દ્રો કાર્યરત બન્યા છે. ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદીયાએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતની પોતાની આવક ઊભી થાય અને તેમાંથી જિલ્લાના વિકાસના વિવિધ કાર્યો થઈ શકે તે હેતુસર અનેક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ્સમાં નર્મદા નદી કિનારે નર્મદા પરિક્રમાવાસીઓ માટે સુવિધાઓ સાથે ભરૂચ શહેરમાં સિટી સેન્ટર સામે રેસ્ટ હાઉસ કમ કોમર્શિયલ કોમ્પ્લેક્સનો સમાવેશ થાય છે. ઉપરાંત, જિલ્લા પંચાયત સામે આવેલી એસબીઆઈ બેંકની જગ્યા પર આધુનિક શોપિંગ સેન્ટર પણ ઊભું કરવામાં આવશે. આ ઉપરાંત, જંબુસર, નેત્રંગ અને રાજપારડી ખાતે પણ જિલ્લા પંચાયતના નવા કોમ્પ્લેક્સના નિર્માણ માટે મુખ્યમંત્રીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવશે. આ સાથે જ, જિલ્લામાં અન્ય અનેક વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિ પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
દમણ બીચ પાસે દરિયામાં બોટમાં આગ લાગી:ધુમાડાના ગોટેગોટાથી લોકોમાં ગભરાટ, કોઈ જાનહાનિ નહીં
સંઘ પ્રદેશ દમણના મોટી દમણ બીચ નજીક દરિયામાં ઊભેલી એક બોટમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનાને કારણે દરિયામાં ધુમાડાના ગોટેગોટા અને જ્વાળાઓ દૂરથી દેખાતા બીચ પર હાજર લોકોમાં ગભરાટ ફેલાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, બોટમાં આગ લાગ્યા બાદ થોડા જ સમયમાં તે સંપૂર્ણપણે આગની ઝપેટમાં આવી ગઈ હતી. દરિયામાં આગ ભભૂકતા કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાઈ ગયા હતા, જેના કારણે બીચ પર હાજર પ્રવાસીઓ અને સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પ્રશાસન, ફાયર બ્રિગેડ અને રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. દરિયામાં પહોંચીને આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
વલસાડમાં ગરમીનો પ્રકોપ વધશે, તાપમાન 36°C પાર:હવામાન વિભાગે બપોરે લૂ ફૂંકાવાની આગાહી કરી
વલસાડ જિલ્લામાં ગરમીનો પ્રકોપ ફરી વધવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, શુક્રવાર, 13 માર્ચના રોજ જિલ્લામાં ગરમીનો 'બીજો તબક્કો' અનુભવાશે. દિવસ દરમિયાન તાપમાન 35C થી 36C સુધી પહોંચી શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન 22C થી 24C આસપાસ રહેવાની સંભાવના છે. છેલ્લા બે દિવસથી પવનની દિશા બદલાતા બપોરના સમયે ભેજનું પ્રમાણ ઘટશે. હવામાન સૂકું બનવાથી બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન કાળઝાળ ગરમી અને લૂ ફૂંકાઈ શકે છે. ભેજનું પ્રમાણ અંદાજે 28થી 35 વચ્ચે રહેતા લોકોને અકળામણનો અનુભવ થઈ શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હીટ વેવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. જોકે, 14 માર્ચ પછી તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે, જેનાથી ગરમીમાં આંશિક રાહત મળી શકે છે. આગામી દિવસોમાં આકાશ સ્વચ્છ રહેશે અને વરસાદની કોઈ શક્યતા નથી. તબીબો અને હવામાન નિષ્ણાતોએ લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપી છે. શરીરમાં પાણીનું પ્રમાણ જાળવવા માટે લીંબુ પાણી, છાશ અને પૂરતું પાણી પીવાની ભલામણ કરવામાં આવી છે. બહાર જતી વખતે માથું રૂમાલ અથવા ટોપીથી ઢાંકવું અને હળવા, સુતરાઉ કપડાં પહેરવા પણ સૂચવવામાં આવ્યું છે. વલસાડ જિલ્લાના વિવિધ તાલુકાઓ માટે અંદાજિત તાપમાન નીચે મુજબ છે: વલસાડમાં 33C / 25C, ધરમપુરમાં 33C / 25C, કપરાડામાં 39C / 23C, પારડીમાં 37C / 23C, વાપીમાં 34C / 24C અને ઉમરગામમાં 33C / 24C તાપમાન રહેવાની શક્યતા છે. ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પારો ઊંચો જતા લોકોને સાવચેત રહેવાની જરૂર છે. ખાસ કરીને બપોરના સમયે બહાર નીકળતી વખતે પૂરતી કાળજી રાખવા અપીલ કરવામાં આવી છે.
અડાલજની સ્વીટકેર પ્રાથમિક શાળા અને સાંઈ વિદ્યામંદિર ખાતે ગુરુવારે વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન મુખ્ય મહેમાન તરીકે ડાન્સ ક્લાસના પ્રજ્ઞાબેન ગુર્જર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન સ્વાગત ગીત, ગણપતિ આરાધના, રાજસ્થાની નૃત્ય, આદિવાસી નૃત્ય સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓ, વર્ષ દરમિયાન થયેલી માસિક પ્રવૃત્તિઓ તથા શ્રેષ્ઠ શિક્ષકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સ્કૂલના પ્રિન્સિપાલ મયુરભાઈ પુરાણીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
સુરત શહેરના અશ્વિનીકુમાર રોડ વિસ્તારમાં સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. પાણીપુરીની લારી ચલાવતા યુવકો વચ્ચે થયેલી મારામારીને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાના દૃશ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા ચકચાર મચી ગઈ છે. શું હતી સમગ્ર ઘટના?મળતી માહિતી મુજબ, અશ્વિનીકુમાર રોડ પર લારી ઊભી રાખવા જેવી કોઈ ક્ષુલ્લક બાબતે પાણીપુરીના વિક્રેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ વિવાદ એટલો વકર્યો કે બંને પક્ષો મર્યાદા ભૂલીને સામસામે આવી ગયા હતા. ગુસ્સામાં આવેલા યુવકોએ એકબીજા પર લાકડાના ફટકા વડે હુમલો કરવાનું શરૂ કર્યું હતું. રાહદારીઓ અને સ્થાનિક વેપારીઓમાં ફાળ પડીભીડભાડ વાળા રસ્તા પર જાહેરમાં લાકડાના ફટકા ઉછળતા જોઈને રાહદારીઓ અને સ્થાનિક વેપારીઓમાં ફાળ પડી હતી. મારામારી વધતી જોઈ આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને વચ્ચે પડીને ચારથી વધુ યુવકોને છોડાવ્યા હતા. લોકોના સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. વીડિયો વાઇરલ અને પોલીસ કાર્યવાહીઆ સમગ્ર ઘટનાનો વીડિયો ત્યાં હાજર કોઈ વ્યક્તિએ મોબાઈલમાં કેદ કરી લીધો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં યુવકો એકબીજા પર ઘાતક રીતે હુમલો કરતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ હરકતમાં આવી છે. અશ્વિનીકુમાર વિસ્તારની પોલીસ દ્વારા વાઇરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી અંગ દઝાડતી ગરમી પડી રહી હતી, જેમાં પવનની દિશા બદલાતા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. જોકે, ગરમીનો પારો 41 ડિગ્રીથી નીચે સરકતા આંશિક રાહત તો મળી છે, પરંતુ હવામાન વિભાગે હજુ પણ રાજકોટ, સુરેન્દ્રનગર, આણંદ અને સુરત જેવા શહેરોમાં હીટવેવની આગાહી સાથે યેલો એલર્ટ જાહેર કર્યું છે. હિમચાલ પ્રદેશમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહેતા ડામર પીગળતી ગરમીમાંથી લોકોને થોડી મુક્તિ મળી છે, છતાં બપોરના સમયે હજુ પણ લૂનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાને કારણે ગરમીમાંથી થોડાક અંશે રાહતહવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પવનની દિશા બદલાતા ગરમીમાંથી આંશિક રીતે રાહત મળી છે. મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને રાજકોટ, સુરેન્દ્રનગર, આણંદ અને સુરતમાં આજે પણ હીટવેવને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે હવામાન નિષ્ણાંત એ.ટી.દેસાઈના જણાવ્યા અનુસાર, હિમાચલ પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાને કારણે ગરમીમાંથી થોડાક અંશે રાહત મળી છે. વાદળછાયું વાતાવરણ રહેતા મહત્તમ તાપમાનમાં થોડોક ઘટાડો નોંધાયો છે. રાજકોટ સહિત આ ચાર શહેરોમાં યેલો એલર્ટ સાથે હીટવેવની આગાહીરાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી જતાં સમગ્ર રાજ્યમાં ડામર પીગળી જવાની ઘટનાઓ પણ બની હતી. જ્યારે ઘણી જગ્યાએ ગરમીને કારણે લોકો બેભાન થયેલા જોવા મળ્યા હતા. ત્યારે હવે રાજ્યમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાનમાં ઘટાડો થતાં આંશિક રીતે ગરમીમાંથી રાહત મળી છે. આજે સુરેન્દ્રનગર, રાજકોટ, આણંદ અને સુરતમાં યેલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ મહાનગરપાલિકાની સફળ કામગીરીને અનુસરીને હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ દિવ્યાંગ વ્યક્તિઓ માટે રોજગારીની નવી તકો ઉભી કરવાના હેતુથી એક વિશેષ ભરતી ઝુંબેશની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત મેડિકલ ઓફિસરથી લઈને મદદનીશ પર્યાવરણ ઇજનેર સુધીના વિવિધ સંવર્ગોમાં કુલ 41 જગ્યાઓ પર દિવ્યાંગ ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે. લાયકાત ધરાવતા દિવ્યાંગ ઉમેદવારો આગામી તા. 23 માર્ચ સુધીમાં ઓનલાઇન માધ્યમથી પોતાની અરજીઓ રજૂ કરી શકશે. વહીવટી તંત્રના આ નિર્ણયથી દિવ્યાંગોને સ્વનિર્ભર બનવાની અને સરકારી તંત્રમાં સેવા આપવાની ઉમદા તક મળશે. આ ખાસ ભરતી ઝુંબેશમાં દિવ્યાંગતાના વિવિધ પ્રકારોને ધ્યાને રાખીને જગ્યાઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે 4 શ્રેણીઓનો સમાવેશ થાય છે. અંધત્વ અને ઓછી દ્રષ્ટિ, બધિર અને ઓછું સાંભળનાર, હલનચલનની દિવ્યાંગતા (જેમાં મગજનો લકવો, રક્તપિત્ત મુક્ત વ્યક્તિઓ, વામનતા, એસિડ એટેક ભોગ બનેલ અને નબળા સ્નાયુઓ સામેલ છે) તેમજ એક કરતા વધુ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો. કુલ 41 જગ્યાઓમાંથી અંધત્વ અને ઓછી દ્રષ્ટિ ધરાવતા ઉમેદવારો માટે 14 જગ્યાઓ, બધિર અને ઓછું સાંભળનારા માટે 15 જગ્યાઓ, હલનચલનની દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ માટે 3 જગ્યાઓ અને એક કરતાં વધુ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે 9 જગ્યાઓ અનામત રાખવામાં આવી છે. મનપાની વિવિધ શાખાઓમાં ખાલી રહેલી જગ્યાઓની વિગતવાર માહિતી મુજબ, મેડિકલ ઓફિસરની 1 જગ્યા માટે હલનચલનની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. આસિસ્ટન્ટ લાયબ્રેરીયનની 1 જગ્યા અંધત્વ કે ઓછી દ્રષ્ટિ ધરાવતા ઉમેદવારો માટે છે. જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રકટર (પુરુષ અને સ્ત્રી) ની 1-1 જગ્યા માટે બધિર અથવા ઓછું સાંભળનાર વ્યક્તિઓ પાત્ર રહેશે. આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) ની 3 જગ્યાઓ પર અંધત્વ, ઓછી દ્રષ્ટિ અથવા હલનચલનની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ટેકનિકલ વિભાગમાં વર્ક આસિસ્ટન્ટ (મિકેનિકલ) ની 1 જગ્યા અંધત્વ માટે અને વર્ક આસિસ્ટન્ટ (ઇલેક્ટ્રિકલ) ની 2 જગ્યાઓ બધિર અને હલનચલનની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે ફાળવવામાં આવી છે. આરોગ્ય અને વહીવટી વિભાગમાં પણ મોટા પાયે ભરતી થનાર છે. અને સેનેટરી ઇન્સ્પેક્ટરની 4 જગ્યાઓ માટે અંધત્વ, બધિર અને બહુવિધ દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. સૌથી વધુ જુનિયર ક્લાર્કની 12 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે, જેમાં અંધત્વ માટે 4, બધિર માટે 3 અને બહુવિધ દિવ્યાંગતા માટે 5 જગ્યાઓ રાખવામાં આવી છે. ફિલ્ડ વર્કરની 4 જગ્યાઓમાં અંધત્વ માટે 1, બધિર માટે 2 અને બહુવિધ દિવ્યાંગતા માટે 1 જગ્યા અનામત છે. લાઇનમેનની 2 જગ્યા અને એન્ક્રોન્ચમેન્ટ રિમુવલ ઇન્સ્પેક્ટરની 2 જગ્યાઓ પર પણ વિવિધ દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને તક અપાશે. આ ઉપરાંત, જુનિયર ફાર્માસિસ્ટની 1 જગ્યા (બધિર), ઝુ બાયોલોજીસ્ટ કમ ક્યુરેટરની 1 જગ્યા (અંધત્વ), એકાઉન્ટ ક્લાર્ક, જુનિયર પ્રોગ્રામર અને આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટની 1-1 જગ્યા (અંધત્વ/ઓછી દ્રષ્ટિ) માટે પણ અરજીઓ મંગાવવામાં આવી છે. વેટરનરી આસિસ્ટન્ટ અને મદદનીશ પર્યાવરણ ઇજનેરની 1-1 જગ્યા બધિર અને ઓછું સાંભળતા ઉમેદવારો માટે સુરક્ષિત રાખવામાં આવી છે. દિવ્યાંગ ભાઈ-બહેનોને યોગ્ય ન્યાય અને રોજગાર મળી રહે તે માટે આ ભરતી પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવનાર છે.
નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓમાં પનીર, ઘી અને ખાદ્ય તેલ જેવા પદાર્થો સબ-સ્ટાન્ડર્ડ મળી આવ્યા છે, જેમાંથી બે વર્ષમાં કુલ 218 નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી 14 નમૂના ફેઈલ થયા હતા, જેમાં પનીરના 5, તેલના 5 અને ઘી ના 2 નમૂનાઓમાં ભેળસેળ જોવા મળી હતી, ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે છેલ્લા બે વર્ષમાં દૂધ, ઘી, પનીર, માવા, તેલ સહિત અન્ય ચીજ વસ્તુઓના જુદા જુદા નમુના લેવામાં આવ્યા હતા, જેમાં વર્ષ 2024માં કુલ 74 નમૂનાઓ લેવામાં આવ્યા હતા તેમજ વર્ષ 2025 માં 142 નમૂના લેવામાં આવ્યા હતા અને જાન્યુઆરી 2026 માં 3 નમૂના લેવામાં આવ્યા હતા, આમ કુલ 219 ખાદ પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા, છેલ્લા બે વર્ષના આંકડા પર પર નજર કરીએ તો, મનપા દ્વારા લેવામાં આવેલા પનીર, દૂધ, ઘી, માવા અને અન્ય ચીજવસ્તુઓ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા જેમાં દૂધના 10, ઘીના 20, પનીરના 16, માવાના 11 તેમજ અન્ય ચીજવસ્તુઓના 161 નમૂના મળી કુલ 219 નમૂનાઓમાંથી 14 નમૂનાઓ સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયા હતા, જેમાં ઘી ના 2 નમૂના, પનીર ના 5 નમૂના, તેલ ના 5 નમૂના તથા અન્ય 2 નમૂના મળી કુલ 14 નમૂના ફેઈલ થયા હતા, જેના પગલે કડક વહીવટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, વર્ષ 2024 ની સરખામણીએ 2025માં નમૂના લેવાની સંખ્યામાં લગભગ બમણો વધારો થયો છે, આરોગ્ય વિભાગ દ્વારા માત્ર નમૂના લઈને સંતોષ માનવામાં આવ્યો નથી, પરંતુ જવાબદાર પેઢીઓ સામે કાયદેસરના પગલાં પણ લેવામાં હતા, જેમાં કુલ 14 ફેલ નમૂનાઓ પૈકી 5 પેઢીઓ વિરુદ્ધ કેસ દાખલ કરી એજ્યુડિકેટિંગ ઓફિસર દ્વારા રૂ.2,78,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે બાકીની 9 પેઢીઓ કેસ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, તેમજ દિવાળીના તહેવારો દરમિયાન તંત્રએ બાતમીના આધારે 1875 કિગ્રા ખાદ્ય તેલનો રિપોર્ટ ફેઈલ આવતા તેની સામે કાર્યવાહી કરી અંદાજિત રૂ.2,62,500 ની કિંમતનો જથ્થો જપ્ત કર્યો હતો, આ તેલનો રિપોર્ટ પણ ફેલ આવતા હવે તેલના ઉત્પાદકો અને વિક્રેતાઓ સામે કાયદેસરની કાર્યવાહી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના નેનાવા ગામ પાસે ગત (12 માર્ચ) મોડી રાત્રે એક ખાનગી લક્ઝરી સ્લીપર બસમાં ભીષણ આગ ફાટી નીકળતાં ચકચાર મચી ગઈ છે. રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલી આ બસમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે, તેમાં એક મુસાફરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 6 જેટલા મુસાફરો ગંભીર રીતે દાઝી ગયા છે. મુસાફરો ગાઢ નિદ્રામાં હતા ને આગ ફાટી નીકળી પ્રાપ્ત વિગતો અનુસાર, રાજસ્થાનના જેસલમેરથી અમદાવાદ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર બસ જ્યારે નેનાવા ગામ નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે મધરાતે આશરે 3:30 વાગ્યાના સુમારે અચાનક બસમાં આગ લાગી હતી. આ સમયે મોટાભાગના મુસાફરો ગાઢ નિદ્રામાં હતા. જોતજોતામાં આગે આખી બસને પોતાની લપેટમાં લઈ લીધી હતી. જીવ બચાવવા મુસાફરોની બારીમાંથી છલાંગ આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા વચ્ચે બસમાં ભારે નાસભાગ અને ચીસાચીસ મચી ગઈ હતી. દરવાજેથી બહાર નીકળવું અશક્ય જણાતા અનેક મુસાફરોએ જીવ બચાવવા માટે ચાલુ બસની બારીઓના કાચ તોડી બહાર કૂદકા માર્યા હતા. આ અફરાતફરીમાં એક મુસાફર આગની લપેટમાં આવી જતાં તેનું બસની અંદર જ મૃત્યુ થયું હતું. 6થી વધુ ગંભીર રીતે દાઝ્યા, સારવાર માટે ખસેડાયા એક મુસાફરે જણાવ્યું હતું કે, અમે જેસલમેર લગ્ન પતાવીને અમદાવાદ પરત આવી રહ્યા હતા. ત્યારે અચાનક બસમાં આગ લાગી ગઇ હતી. આગ કેવી રીતે લાગી એ ખબર નથી પણ બધા માણસો બસમાં ફસાઇ ગયા હતા. જેઓને હાલ સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. બચાવ કામગીરી અને તંત્રની દોડધામ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. દાઝી ગયેલા તમામ 6 મુસાફરને તાત્કાલિક ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર, કેટલાક ઘાયલોની હાલત અત્યંત નાજુક છે. રાજસ્થાનથી પણ ફાયર ફાઈટરોે બોલાવવાની ફરજ પડી આગ પર કાબૂ મેળવવા માટે ધાનેરા નગરપાલિકા ઉપરાંત પડોશી રાજ્ય રાજસ્થાનના સાંચોરથી પણ ફાયર ફાઈટરોને બોલાવવાની ફરજ પડી હતી. કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો, પરંતુ ત્યાં સુધીમાં બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. પોલીસ તપાસ શરૂ ધાનેરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાની શક્યતા છે. હાઈવે પર અકસ્માતને કારણે ખોરવાયેલો ટ્રાફિક પોલીસે પુનઃ કાર્યરત કરાવ્યો હતો. આ ઘટનાએ મુસાફરોની સુરક્ષા અને ખાનગી બસોમાં ફાયર સેફ્ટીના સાધનોની ઉપલબ્ધતા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
શહેરના પાલડી વિસ્તારમાં AMTS બસમાં આગ લાગવાની ઘટના બની હતી લાલ દરવાજાથી બાવળા તરફ જતી બસમાં પાલડી મહાલક્ષ્મી ચાર રસ્તા જૈન મર્ચન્ટ બસ સ્ટેન્ડ પાસે જ્યારે બસ પેસેન્જરને લેવા ઉભી રહી ત્યારે એન્જિનમાંથી અચાનક ધુમાડો નીકળ્યો હતો. તેથી ડ્રાઇવરે સમયસૂચકતા વાપરી તમામ પેસેન્જરને નીચે ઉતારી દીધા હતા. એન્જિનમાંથી આગ શરૂ થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બસમાં લાગેલી આગને પાણીનો મારો ચલાવી કાબૂમાં લીધી હતી. ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. બસના એન્જિન બોનેટમાંથી અચાનક ધુમાડો નીકળતા કંડક્ટરે બસના પ્રવાસીઓ ઊતારી દીધાંAMTS રુટ 35ની બસ લાલદરવાજાથી બાવળા તરફ જતી હતી. તે દરમિયાન પાલડીના જૈન મરચંટ બસ સ્ટેન્ડ પર પેસેન્જર લેવા ઊભી રાખવામાં આવી હતી. બસના એન્જિન બોનેટમાંથી અચાનક ધુમાડો આવવા લાગતા કંડક્ટરે બસના પ્રવાસીઓ ઊતારી દીધાં હતા. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. બસ ડ્રાઈવરે ઇગ્નિશન સ્વીચ અને મેઈન સ્વીચ બંધ કરી પણ આગ ચાલુ થઈ ગઈ હતી. ફાયર એક્ષ્ટીંન્ગ્યુશરથી આગ બુઝાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પાછળ આવતી બસોમાંથી પણ ફાયર એક્ષ્ટીંન્ગ્યુશર કાઢી આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો. બસમાં આગળની 4 સીટો સળગી ગઈ હતીફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગને બુજાવી દીધી હતી. બસમાં આગળનો શો, એન્જિન, રૂફ સિલીંગ તેમજ આગળની 4 સીટો સળગી ગઈ હતી. બસમાં એન્જિનમાં આગ લાગવાની ઘટના બની હતી. એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહને જાણ થતા તેઓ પણ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા. આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લઈ લેવામાં આવીનરોડા GIDCમાં પણ મોડી રાત્રે એક ટેલરના શેડમાં આગ લાગવાની ઘટના બની હતી. GIDCના પ્લોટમાં આવેલા કલ્પેશ ટેલરમાં આગ લાગવાની ઘટના બનતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી. બે જેટલી ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લઈ લેવામાં આવી હતી આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
181માંથી માત્ર 25 ધારાસભ્યો જોડાયા:યોગમય વિધાનસભાની વાતો વચ્ચે MLA આવાસે યોગ કાર્યક્રમમાં નબળી હાજરી
12મા ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ–2026’ને ધ્યાનમાં રાખીને 100 દિવસના કાઉન્ટડાઉનનો ભવ્ય પ્રારંભ ગાંધીનગરના નવા MLA આવાસ ખાતે આયોજિત ‘કર્ટન રેઝર’ કાર્યક્રમથી કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યભરમાં યોગ અંગે જાગૃતિ ફેલાવવા માટે આગામી 100 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજવાની જાહેરાત કરવામાં આવી. 21મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે જાહેર કર્યોવિશ્વભરમાં યોગની શક્તિનો પરિચય કરાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘ સમક્ષ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને વિશ્વના અનેક દેશોએ સહર્ષ સ્વીકારી 21મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે જાહેર કર્યો હતો. ત્યારથી દર વર્ષે વિશ્વભરમાં આ દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ 2026માં યોજાનારા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં યોગમય વાતાવરણ ઊભું કરવા માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 100 દિવસ સુધી રાજ્યના તમામ જિલ્લાઓ તેમજ વિવિધ તાલુકા મથકો પર યોગ શિબિરો યોજાશેગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજીની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના ધારાસભ્યોને યોગ માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. “એક કદમ યોગમય વિધાનસભા તરફ” સૂત્ર સાથે આયોજિત આ અભિયાન અંતર્ગત આગામી 100 દિવસ સુધી રાજ્યના તમામ જિલ્લાઓ તેમજ વિવિધ તાલુકા મથકો પર યોગ શિબિરો યોજાશે. આ અભિયાન દ્વારા 21મી જૂન પહેલાં રાજ્યભરમાં યોગનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરી જન-જનને આ પ્રાચીન ભારતીય સંસ્કૃતિ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. કાર્યક્રમમાં 25 જેટલા ધારાસભ્યોએ જ હાજરી આપી હતીજોકે, રાજ્યની 181 સભ્યોની વિધાનસભામાંથી આ યોગ કાર્યક્રમમાં માત્ર આશરે 25 જેટલા ધારાસભ્યોએ જ હાજરી આપી હતી, જેમાં 5 મહિલા ધારાસભ્યોનો સમાવેશ થાય છે. યોગમય વિધાનસભાની વાતો વચ્ચે ધારાસભ્યોની નબળી હાજરી ચર્ચાનો વિષય બની છે. રાજ્ય યોગ બોર્ડના આયોજન મુજબ આગામી દિવસોમાં રાજ્યભરમાં મોટા પાયે યોગ શિબિરો યોજાશે અને વધુમાં વધુ નાગરિકોને યોગ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. આ અભિયાન ગુજરાતને દેશનું સૌથી સ્વસ્થ રાજ્ય બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
તાજેતરમાં જ અમદાવાદના ઘીકાંટા ખાતે સ્પેશિયલ મેરેજ રજિસ્ટ્રાર કોર્ટમાં હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્નનો મુદ્દો સામે આવ્યો હતો. રજીસ્ટ્રાર દ્વારા સત્તાનો ઉપયોગ કરી ખોટી રીતે લગ્ન નોંધણી કરવામાં આવતી હોવા અંગેના આક્ષેપો વિવિધ હિન્દુ સંગઠન દ્વારા કરવામાં આવ્યા હતા ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને વિવિધ સમાજની સંસ્થાઓ દ્વારા રાજ્યપાલ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ચીફ જસ્ટીસ અને કલેકટરને પત્ર લખીને રજીસ્ટ્રારને સસ્પેન્ડ કરવાની અને અત્યાર સુધીની તમામ લગ્ન નોંધણીની SIT દ્વારા તપાસ કરવાની એમ જ જો તેમાં ગેરરીતિ જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીએ રાજ્યપાલથી લઇ ચીફ જસ્ટિસ સહિતના લોકોને પત્ર લખ્યો વિશ્વ હિન્દુ પરિષદના ધર્મપ્રસાર વિભાગના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભાવાણીએ રાજ્યપાલથી લઇ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી ચીફ જસ્ટિસ સહિતના લોકોને પત્ર લખ્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે, 03/03/2026ના રોજ અમદાવાદ શહેરના ઘી કાંટા ખાતે આવેલી સ્પેશિયલ મેરેજ રજીસ્ટ્રાર કચેરીમાં મુખ્ય રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા એમ.એમ.સૈયદ દ્વારા સત્તાનો દુરુપયોગ કરી ગેરરીતિથી લગ્ન નોંધણી કરાવવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકને વકીલના પહેરવેશમાં બોલાવી છાનામાના લગ્ન કરાવતોમળતી માહિતી મુજબ મેરેજ રજીસ્ટ્રેશન માટે આવેલા હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકને કચેરીના નિયમિત કાર્ય સમય પહેલા વકીલના પહેરવેશમાં બોલાવી છાનામાના લગ્ન નોંધણી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સામાન્ય રીતે કચેરીનો નિયમિત કાર્ય સમય સવારે 11:00 વાગ્યાથી શરૂ થાય છે તેમછતાં એમ.એમ. સૈયદ સવારે અંદાજે 9:00 વાગ્યે કચેરીમાં હાજર રહી આ કાર્યવાહી હાથ ધરતા હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતની જાણ થતા ત્યાં હાજર કેટલાક વકીલો દ્વારા આ મુદ્દાની ગંભીર નોંધ લેવામાં આવી હતી અને તેના વિરુદ્ધમાં હોબાળો પણ મચ્યો હતો. આ ઘટનાના કારણે સમાજમાં ભારે રોષ અને અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે. અગાઉ પણ ગેરકાયદેસર લગ્ન નોંધણી થઈ હોવાની શંકાસરકારી અધિકારી તરીકે કાયદાનું પાલન કરાવવાની જવાબદારી ધરાવતા વ્યક્તિ દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ કરી ગેરરીતિથી કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત ગંભીર બાબત છે. આ ઘટના પરથી એવી શંકા પણ વ્યક્ત થાય છે કે, અગાઉ પણ આવા પ્રકારની ગેરરીતિથી કેટલાય કેસોમાં પરિવારજનોની લાગણીઓ અવગણીને ગેરકાયદેસર રીતે લગ્ન નોંધણી કરવામાં આવી હોઈ શકે. ઘટનાથી સંબંધિત કેટલાક પુરાવાઓનો નાશ કરાયાની શંકા પણ વ્યક્ત કરાઈ આ ઉપરાંત એવી પણ માહિતી સામે આવી છે કે, આ લગ્ન નોંધણી પ્રક્રિયા દરમિયાન વસીમ નામનો એક શખસ એમ.એમ.સૈયદની ઓફિસમાં હાજર હતો અને તેણે આ ઘટનાથી સંબંધિત કેટલાક પુરાવાઓનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો તેવી શંકા વ્યક્ત કરવામાં આવે છે. તેથી તે વ્યક્તિ કોણ હતો, સરકારી કચેરીમાં તે કોની પરવાનગીથી હાજર હતો તેમજ શું તે સૈયદનો કોઈ વહીવટદાર કે સહયોગી છે કે નહીં તે બાબતે પણ તપાસ કરવામાં આવે માંગણી કરી છે. વિવિધ સમાજની સંસ્થાઓ દ્વારા પણ જિલ્લા કલેકટરને કાર્યવાહી માટે પત્ર લખાયોવિશ્વ હિન્દુ પરિષદ ઉપરાંત વિવિધ સમાજની સંસ્થાઓ દ્વારા પણ જિલ્લા કલેકટરને સ્પેશિયલ મેરેજ રજીસ્ટ્રાર વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પત્ર લખવામાં આવ્યા છે. પાટીદાર સમાજની મોટી સંસ્થાઓ એવી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, ખોડલધામ, સરદાર પટેલ ગ્રુપ (SPG), અડતાલીસ કડવા પાટીદાર સમાજ (વઢીયાર વિભાગ), તેર ગામ લેઉવા પટેલ સમાજ (દહેગામ), શ્રી બાવીસી સંપ્રદાય મોઢ ચતુર્વેદી બ્રાહ્મણ સમાજ તેમજ કેળવણી મંડળ સહિતના સમાજ દ્વારા પત્ર લખીને માંગણીઓ કરવામાં આવી છે. હિન્દુ સમાજના પ્રતિનિધિ તરીકે કેટલીક માંગણીઓ કરવામાં આવી
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU), પાટણ ખાતે ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ યુનિફોર્મ સ્ટેચ્યુટ-2024 માં સુધારા માટે એક સેમિનાર યોજાયો હતો. આ વર્કશોપમાં અધ્યાપકો અને આચાર્યો દ્વારા 70 જેટલા મહત્વના સુધારા સૂચવવામાં આવ્યા હતા, જે હવે સરકારને મોકલવામાં આવશે. યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે રજીસ્ટ્રાર ડો. આર.એન. દેસાઈની અધ્યક્ષતામાં આ સેમિનારનું આયોજન થયું હતું. તેનો મુખ્ય ઉદ્દેશ્ય યુનિફોર્મ સ્ટેચ્યુટના અસરકારક અમલીકરણ માટે જરૂરી સૂચનો અને સુઝાવ મેળવવાનો હતો. આ એક દિવસીય વર્કશોપમાં વિવિધ વિભાગોના વડા, ડીન, અધ્યાપકો, મેનેજમેન્ટ, બીઓએમ, વહીવટી સ્ટાફ, સંલગ્ન કોલેજોના આચાર્યો, વિદ્યાર્થી સંગઠનો અને સ્વૈચ્છિક મહાસંઘો સહિતના સ્ટેકહોલ્ડર્સ જોડાયા હતા. વર્કશોપમાં યુનિવર્સિટીના સુચારું સંચાલન માટે 70 જેટલા સુધારા સૂચવાયા હતા. રજૂ થયેલા સુધારાઓમાં સ્ટેચ્યુટ અને એક્ટમાં સત્તામંડળના સભ્યોની નિમણૂક અંગેની વિસંગતતા દૂર કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, યુનિવર્સિટીમાં ઉપ કુલપતિ (પ્રો-વીસી) ની નવી જગ્યા ઊભી કરવા માટે પણ સુધારા રજૂ કરાયા હતા. અન્ય મહત્વના સુધારાઓમાં પરીક્ષા સંબંધિત નિયમો, સંલગ્ન કોલેજોના સંચાલન અને જીસીએસઆર (GCSAR) માં કર્મચારીઓ માટે રજાના નિયમોનો સમાવેશ થાય છે. ખાસ કરીને, કર્મચારીઓ માટે 300 રજાના નિયમને બદલીને 240 કરવાનો અભિપ્રાય પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યો દ્વારા પણ વિવિધ સુધારા રજૂ કરવામાં આવ્યા હતા. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા મેળવાયેલા આ તમામ સુધારા અને અસરકારક અમલીકરણ માટેના સૂચનો હવે સરકાર કક્ષાએ મોકલવામાં આવશે.
કાલોલના બાળકના નાકમાં મકાઈનો દાણો ફસાયો:ગોધરા સિવિલમાં સફળતાપૂર્વક બહાર કઢાયો, બાળકે રાહત અનુભવી
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કંડાચ ગામમાં દોઢ વર્ષના બાળક બાબુ નાયકના નાકમાં મકાઈનો દાણો ફસાઈ ગયો હતો. તેને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ સફળતાપૂર્વક દાણો બહાર કાઢ્યો. શૈલેષ નાયકનો પુત્ર બાબુ ખેતરમાં રમી રહ્યો હતો ત્યારે તેના નાકમાં મકાઈનો દાણો ફસાયો હતો. શરૂઆતમાં પરિવારને આ ઘટનાની જાણ થઈ ન હતી. રાત્રે બાળક સૂવા ગયો ત્યારે દાણો નાકની વધુ અંદર ઉતરી ગયો. નાકમાં તકલીફ થતાં બાળકે રડવાનું શરૂ કર્યું. પરિવારજનોએ તપાસ કરતાં બાળકના નાકમાં મકાઈનો દાણો ફસાયેલો હોવાનું જાણવા મળ્યું. બાળકની ગંભીર હાલત જોઈને પરિવાર ચિંતિત બન્યો અને રાત્રે જ તેને ગોધરા સિવિલ હોસ્પિટલ લઈ ગયો. ગોધરા સિવિલ હોસ્પિટલના ડોકટરોએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ભારે જહેમત બાદ દાણો સફળતાપૂર્વક બહાર કાઢ્યો. દાણો નીકળી જતાં બાળકે રાહત અનુભવી હતી. પરિવારે તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો.
અમરેલી આંગણવાડી કેન્દ્રોમાં નવીનીકરણ ઝુંબેશ:96 કેન્દ્રમાં રંગબેરંગી ચિત્રો આકર્ષણનું કેન્દ્ર બન્યા
રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમરેલી તાલુકામાં આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત આઈ.સી.ડી.એસ ઘટક-2 હેઠળના 96 આંગણવાડી કેન્દ્રોમાં રંગરોગાન અને ચિત્રકામ સહિતની કામગીરી ચાલી રહી છે, જે બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જિલ્લા વિકાસ અધિકારી પી.ડી. પંડ્યા અને જિલ્લા કાર્યક્રમ અધિકારી હીરલબેન રાજયગુરુના માર્ગદર્શન હેઠળ, બાળ વિકાસ યોજના અધિકારી શ્રીમતી નિરાલીબેન કીકાણીની દેખરેખ હેઠળ આ કેન્દ્રોમાં કલરકામ, ચિત્રકામ અને રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમરેલી તાલુકામાં પોતાના મકાનમાં કાર્યરત તમામ 96 આંગણવાડી કેન્દ્રોમાં સ્વચ્છતા સાથે આકર્ષક માહોલ ઊભો કરાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ₹8,500ની ગ્રાન્ટ હેઠળ 45 કેન્દ્રોમાં કલરકામ અને ચિત્રકામ સહિતના સમારકામના કામો પૂર્ણ થયા છે. જ્યારે અન્ય 51 કેન્દ્રોમાં આ કામગીરી પ્રગતિમાં છે. આ ઉપરાંત, રીપેરીંગ અને મેન્ટેનન્સ માટે ₹2 લાખની ગ્રાન્ટ હેઠળ 5 કેન્દ્રોમાં રીપેરીંગની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે. આ નવીનીકરણથી આંગણવાડીમાં આવતા બાળકોને રંગબેરંગી ચિત્રો દ્વારા સરળતાથી અક્ષરજ્ઞાન અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં મદદ મળી રહી છે. દીવાલો પરના શૈક્ષણિક ચિત્રો જોઈને બાળકો પ્રેરણા મેળવે છે અને તેમની સર્જનાત્મકતા પણ વિકસે છે. આંગણવાડીની દીવાલો પર કરાયેલા કલાત્મક ચિત્રો બાળકોને કેન્દ્ર તરફ આકર્ષે છે અને તેમને આનંદદાયક તેમજ ભયમુક્ત વાતાવરણ પૂરું પાડે છે. આ રંગીન ચિત્રો બાળકોના મનને ઉત્સાહિત કરે છે અને તેમની એકાગ્રતા વધારવામાં પણ મદદરૂપ બને છે. આ ચિત્રો માત્ર શોભા માટે નહીં, પરંતુ શૈક્ષણિક સામગ્રી તરીકે પણ ઉપયોગી બની રહ્યા છે. આ પ્રયાસોથી આંગણવાડી કેન્દ્રોને વધુ સુવિધાસભર અને આકર્ષક બનાવીને બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળી રહ્યું છે.
પાટણ કોર્ટે કેદી ફરાર કેસમાં ચુકાદો આપ્યો:ઘંટીસિંગ અને 4 પોલીસકર્મી નિર્દોષ, તપાસમાં ગંભીર ખામીઓ
પાટણની જ્યુડિશિયલ કોર્ટે ધારપુર હોસ્પિટલમાંથી કેદી ફરાર થવાના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી ઘંટીસિંગ નારસિંગ ખિચી અને જાપ્તામાં રહેલા ચાર પોલીસ કર્મચારીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો છે. મેજિસ્ટ્રેટ ડો. હિરલબેન પી. જોશીએ પોલીસ તપાસમાં રહેલી ગંભીર ક્ષતિઓ અને પુરાવાના અભાવને ટાંકીને આ ચુકાદો આપ્યો હતો. આ ઘટના જૂન-2023માં બની હતી. પાટણની સુજનીપુર જેલમાં બંધ આરોપી ઘંટીસિંગ ખિચીને 8 જૂન, 2023ના રોજ બીમારીની સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલના એક્સ-રે રૂમ પાસેથી તે પોલીસની નજર ચૂકવીને નાસી છૂટ્યો હતો. આ મામલે બાલીસણા પોલીસ સ્ટેશનમાં ઘંટીસિંગ સહિત જાપ્તાના ચાર પોલીસ કર્મચારીઓ – એ.એસ.આઈ. અભેરામ, હેડ કોન્સ્ટેબલ અમૃતજી, લોકરક્ષક હરેશભાઈ અને કોન્સ્ટેબલ અભેસિંહ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીઓ તરફે એડવોકેટ શૈલેષ એમ. સોલંકી, આર.એસ. વણકર અને જે.સી. ઠાકોરે કોર્ટમાં રજૂઆતો કરી હતી. કોર્ટે પોતાના 47 પાનાના ચુકાદામાં તપાસ અધિકારીઓની ભારે બેદરકારી નોંધી હતી. તપાસ અધિકારીઓ આરોપી ઘંટીસિંગ અગાઉ કયા ગુના હેઠળ જેલમાં હતો તેની પ્રાથમિક માહિતી પણ કોર્ટમાં રજૂ કરી શક્યા નહોતા. ઉપરાંત, તપાસ દરમિયાન હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવ્યા નહોતા અને પંચ સાક્ષીઓએ પણ ફરિયાદ પક્ષને સમર્થન આપ્યું નહોતું. કોર્ટના અવલોકન મુજબ, આરોપી નાસી ગયો ત્યારે તેની કસ્ટડી એ.એસ.આઈ. અભેસિંગ પાસે નહોતી, જે ઉલટતપાસમાં સ્પષ્ટ થયું હતું. જેલના નિયમોના ઉલ્લંઘનની બાબત પણ સામે આવી હતી. સુજનીપુર જેલના હવાલદારની જુબાની મુજબ, પાંચ આરોપીઓ માટે પાંચ પીએસઆઈના જાપ્તાની માગણી કરાઈ હતી, પરંતુ પીએસઆઈ વગર જ કેદીઓને મોકલી દેવાયા હતા. નિયમ મુજબ, જો માગ્યા મુજબનો જાપ્તો ન હોય તો કેદીઓને સોંપી શકાય નહીં, તેમ છતાં આ કિસ્સામાં અપૂરતા જાપ્તા સાથે આરોપીઓને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. આ તમામ ટેકનિકલ ખામીઓ અને તપાસમાં રહેલી ક્ષતિઓને ધ્યાને રાખી કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
મલેકપુર પાસે બે બાઈક અથડાયા, એક યુવક ગંભીર:પ્રાથમિક સારવાર બાદ વડોદરા રિફર કરાયો
મલેકપુર નજીક બે મોટરસાયકલ સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અશ્વિન નાયક નામનો યુવક 'ચાવડીબાઈ ના મુવાડા' થી 'મલેકપુર' તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન માર્ગમાં બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં અશ્વિન નાયકને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક લુણાવાડા ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. યુવકની હાલત નાજુક જણાતા તેને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે, ઈજાઓ વધુ ગંભીર હોવાથી તબીબોની સલાહ બાદ તેને વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવ્યો છે.
1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક ઝડપાયો:વાંકાનેર નજીકથી એકની ધરપકડ, 2.18 કરોડનો મુદ્દામાલ જપ્ત
મોરબી જિલ્લા એલસીબીએ રાજકોટ-ચોટીલા હાઈવે પર વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 1.93 કરોડથી વધુનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ. 2.18 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે. એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીઆઇ એમ.પી. પંડ્યાને મળેલી બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક ચોટીલા-રાજકોટ હાઈવે રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. સુગર એન્ડ સ્પાઇસ હોટલ પાસે ટ્રક નંબર RJ 14 GP 4506 ને રોકવામાં આવતા તેમાંથી 31,752 બોટલ દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ. 1,93,47,360 ની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો, રૂ. 25 લાખની કિંમતનું વાહન, રૂ. 3200 રોકડા અને રૂ. 5000 ની કિંમતનો એક મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 2,18,55,560 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે રાજસ્થાનના ઝહેરાઝ ગામના લલિતકુમાર પ્રતાપજી ખરાડીની ધરપકડ કરવામાં આવી છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલા આરોપી ઉપરાંત દારૂનો જથ્થો મોકલાવનાર, મંગાવનાર અને વાહનના માલિક સહિત તપાસમાં જેમના નામ ખુલે તેમની સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી એલસીબીના પીઆઇ એમ.પી. પંડ્યાના સૂચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
વલસાડમાં સમાધાન બેઠકમાં જ ધીંગાણું:એવરસન ટાવરમાં બે પરિવાર વચ્ચે મારામારી, બંને પક્ષે ફરિયાદ
વલસાડ શહેરના બંદર રોડ પર આવેલા એવરસન ટાવર એપાર્ટમેન્ટમાં સમાધાન બેઠક દરમિયાન બે પરિવારો વચ્ચે મારામારી થઈ હતી. જૂના વિવાદના સમાધાન માટે બોલાવવામાં આવેલી આ બેઠક ઉગ્ર બોલાચાલીમાં પરિણમી હતી, જેના કારણે છૂટ્ટાહાથની મારામારી સર્જાઈ હતી. ઘટનામાં બંને પક્ષના સભ્યોને ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, એપાર્ટમેન્ટમાં રહેતા બે મુસ્લિમ પરિવારો વચ્ચે લાંબા સમયથી કોઈ મુદ્દે અણબનાવ ચાલી રહ્યો હતો. આ વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે ગત રોજ બંને પક્ષના સભ્યો વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. શરૂઆતમાં ચર્ચા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી હતી. જોકે, થોડા સમય બાદ બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. બોલાચાલી દરમિયાન વાત એટલી હદે વણસી ગઈ કે બંને પક્ષના સભ્યો વચ્ચે ધક્કામુક્કી અને મારામારી થઈ. રહેણાક એપાર્ટમેન્ટમાં અચાનક સર્જાયેલી આ અથડામણને કારણે ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ વલસાડ સિટી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને પક્ષના ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડી તેમની સારવાર કરાવી હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, બંને પક્ષોની કેફિયતના આધારે સામસામી ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ક્લાઈમેટ ચેન્જ : માર્ચ મહિનામાં જ ગરમીનો પારો ૪૦ને પાર
- ગ્લોબલ વોર્મિંગને પગલે આ વખતે શિયાળો ખાસ અનુભવાયો જ નહીં અને ઉનાળો પહેલેથી જ આકરો શરૂ થયો છે, આગામી સમય વધારે કપરો રહેવાની ભીતી આ વખતે નવેમ્બર 2025થી કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થયું નથી. તેના કારણે ઠંડક લાંબો સમય ટકી નહીં અને ગરમી શરૂ થતાં જ આકરી થવા લાગી. આ વખતે માર્ચ મહિનાથી અહીંયા સાવ ગરમ અને શુષ્ક હવા ચાલી રહી છે. આ હવા રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા અને અન્ય કેટલાક ભાગમાં ગરમીમાં સતત વધારો કરી રહી છે : ગુજરાતના વલ્લભવિદ્યાનગર, અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરેન્દ્રનગર, સુરત અને મહારાષ્ટ્રના અકોલામાં તાપમાન 41.2 ડિગ્રી નોંધાયું હતું.
તાલુકાના નારણપર ગામના ખેડૂતને જીઓ કંપનીના ચાર ટાવર નાખી મહીને રૂપિયા 30 થી 35 હજાર ભાડું આપવાની લાલચ આપી આરોપીઓએ રૂપિયા 6.47 કરોડ પડાવી દીધા હતા. જે મામલે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોધાયા બાદ એક આરોપીને ઉત્તરપ્રદેશથી ઝડપી લેવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ 2023માં સીઆઈડી ક્રાઈમ પોલીસ મથકે ઠગાઈનો ગુનો નોધાયો હતો. જેનો ભેદ ઉકેલી લેવા સીઆઇડી ક્રાઇમ બોર્ડર ઝોન ભુજના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એમ.પી.હુંબલના માર્ગદર્શન હેઠળ આરોપીઓને તાત્કાલિક પકડવા સુચના આપી હતી. પોલીસે તપાસ દરમિયાન બેંક ખાતાના ઝીણવટભર્યા અભ્યાસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ કામેના આરોપી અજય અખિલેશકુમાર પાંડે અન્ય વ્યક્તિઓના નામે બેંક ખાતાઓ મેળવી નાણાંકીય વ્યવહારો કરતો હોવાની હકિકત સામે આવી હતી . જેથી પીઆઈ કે.સી.રાઠોડ સહીતની ટીમ ઉત્તરપ્રદેશ ખાતે પહોચી હતી. અને સ્થાનિક પોલીસની સાથે રહી આરોપીને અંતરિયાળ ગામ સુરહુરપુર, જિ.આંબેડકરનગર, ઉત્તર પ્રદેશ ખાતેથી ટ્રેક કરી ઘેરાબંધી કરીને ઝડપી લીધો હતો. જે બાદ આરોપીને આંબેડકરનગર કોર્ટ સમક્ષ રજૂ કરી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી આગળની તપાસ અર્થે ભુજ લઇ આવી રિમાન્ડ હેઠળ પૂછપરછ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે,આરોપીઓએ નારાણપરના ખેડૂતને જીઓ કંપનીના ચાર ટાવર લગાડવાનું કહી આરોપીઓએ અલગ અલગ બહાને રૂપિયા 6.47 કરોડ પડાવી લીધા હતા . ઠગાઈના રૂપિયામાંથી 2 કરોડથી વધુ રૂપિયા આરોપીના પિતાના ખાતામાં જમા થયેલા હતા જે બેંક ખાતામાં આરોપીનો મોબાઈલ નંબર આપેલો હતો.આરોપીના રિમાન્ડ દરમિયાન મુખ્યસુત્રધાર સુધી પહોચવાની કડીઓ જોડાશે.
દેશમાં ગેસ ઈમરજન્સીની સ્થિતિ સર્જાઈ છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની જબરદસ્ત અછત વચ્ચે હવે ઘરેલું ગેસ સિલિન્ડરના પણ ફાંફા પડી રહ્યા છે. ત્યારે દિવ્ય ભાસ્કરે અમદાવાદી ગૃહિણીઓને જઈને પૂછ્યું કે જો ગેસ સપ્લાય કે ગેસના બાટલા નહીં મળે તો શું કરશો. તો આવો જાણીએ ગુજ્જુ ગૃહિણીઓએ શું-શું કહ્યું…
માર્ચ મહિનાના ત્રીજા શુક્રવારે વર્લ્ડ સ્લીપ ડે હોય છે. શું તમે જાણો છો કે પૂરતી ઊંઘ તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે કેટલી મહત્વપૂર્ણ છે? જો પૂરતી ઊંઘ ન મળે તો ઘણી ગંભીર બીમારીઓનો ભોગ બની શકો છો. શું તમને ખબર છે કે, ગુજરાતના સેલેબ્સ કેટલી ઉંઘ લે છે અને તેમનું શેડ્યુલ કેવું હોય છે? દિવ્ય ભાસ્કર આજે તમને રાજ્યસભા સાંસદ અને હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકીયા, એક્ટ્રેસ મોનલ ગજ્જર, કાર્ડિયાક સર્જન ડો.ધીરેન શાહ, બિઝનેસ વુમન રૂઝાન ખંભાતા, સ્લીપિંગ ડિસઓર્ડર સ્પેશિયાલિસ્ટ કાશ્મીરા ઝાલા સાથે વાતચીત કરી હતી. 7 કલાકની ઊંઘ સાથે તેની ક્વોલિટી પણ જરૂરીમેરીંગો સિમ્સ હોસ્પિટલના કાર્ડિયાક સર્જન ડો. ધીરેન શાહના જણાવ્યા અનુસાર, ઓછામાં ઓછી 6થી 7 કલાકની ઊંઘ આપણા શરીર માટે જરૂરી છે આ સાથે ઊંઘની ક્વોલિટી પણ આપાણા શરીર માટે એટલી જ જરૂરી હોય છે. નાના બાળકોથી લઈ વૃદ્ધ લોકો સુધી દરેક માટે ઊંઘની ક્વોલિટી સૌથી વધારે જરૂરી છે. હું પોતે રાત્રે 11 વાગ્યા આસપાસ સૂવું છું અને વહેલી સવારે 6 કે સાડા છ વાગ્યા આસપાસ ઉઠી જાઊં છું. બપોરે ઊંઘતા લોકોને મારી એક સલાહહું વહેલી સવારે 45 મિનિટ ચાલવા માટે જાઊં છું અને રાત્રે સુતા પહેલા હું હંમેશા કોઈ સારી પુસ્તક વાંચું છું. જે લોકોને બપોરે સૂવાની આદત છે તેમને એક સલાહ આપવા માંગુ છું કે બપોરે જમ્યા પછી લગભગ 15થી 20 મિનિટ સુધીનો પાવર નેપ લેવો જોઇએ. કારણ કે, જે લોકો સતત કામ કરતાં રહે છે તેમને વચ્ચે એક બ્રેક લાવવો જરૂરી છે. એટલે જો બપોરે 15થી 20 મિનિટનો પાવર નેપ લેતા હોય તેઓએ હંમેશા ડાબા પડખે જ સૂવું જોઇએ. નસકોરા બોલતા હોય તેવા લોકોએ ડાબા પડખે સૂવુંખાસ કરીને જે લોકોને નસકોરા બોલતા હોય તેવા લોકોએ હંમેશા ડાબા પડખે ફરીને સૂવું વધારે સારૂં રહેશે. કારણ કે, સીધા સૂવાને કારણે તેમની જીભ અંદરની તરફ પડી જતી હોય છે, જેથી તેમને શ્વાસ લેવામાં તકલીફ થતા નસકોરા બોલતા હોય છે. આમ તો ગમે તે રીતે સૂવો એમાં કોઈપણ જાતનું નુકસાન હોતું નથી, પરંતુ તેમની ઊંઘ વ્યવસ્થિત અને સારી ક્વોલિટીની હોવી જરૂરી છે. જમ્યા બાદ ઓછામાં ઓછા બે કલાક પછી ઊંઘવુંઅપોલો હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ પલ્મોનોલોજિસ્ટ અને સ્લીપ ડિસઓર્ડર સ્પેશિયાલિસ્ટ ડો. કાશ્મીરા ઝાલાએ જણાવ્યું હતું કે, 'Sleep Well, Live Better' એટલે કે, સારી ઊંઘ લો, સારી રીતે જીવો. એનો અર્થ એ છે કે, જો તમે સારી ઊંઘ લેશો, તો જ તમે સારી રીતે જીવન જીવી શકશો. ઊંઘવા અને જમવાનો સમય ચોક્કસ રાખો. જો તમે ઊંઘવા અને જમવાનો સમય નિશ્ચિત રાખશો તો સ્વાસ્થ્યના ઘણા પ્રશ્નો આપોઆપ ઉકેલાઈ જશે. જમ્યા બાદ ઓછામાં ઓછા બે કલાક પછી ઊંઘવું જોઇએ. સ્લીપ એપનિયા (Sleep Apnea)માં રાત્રે વારંવાર શ્વાસ બંધ થવાથી ઓક્સિજન લેવલ ઘટી જાય છે. જેનાથી હૃદય પર દબાણ વધે છે. અન્ય બીમારીઓ જેવી કે જો તમને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ કે હૃદયની સમસ્યા હોય અને સાથે નસકોરા પણ આવતા હોય તો તેને અવગણશો નહીં. ઊંઘની કોઈપણ સમસ્યા માટે નિષ્ણાતની સલાહ લેવી અને જરૂરી રિપોર્ટ્સ કરાવવા જોઇએ. વહેલા ઉઠી આંબળા અને એલોવેરાનો રસ પીવે છેગુજરાતી અભિનેત્રી મોનલ ગજ્જરે જણાવ્યું હતું કે, શરીર માટે ઊંઘ ખૂબ જ મહત્વની છે. ખાસ કરીને શૂટિંગ દરમિયાન તેમની ઊંઘનું ચક્ર ખોરવાઈ જાય છે. જ્યારે તેઓ શૂટિંગ કરતા હોય ત્યારે તેઓ વહેલા ઉઠે છે, આંબળા અને એલોવેરાનો રસ પીવે છે. પુષ્કળ પાણી પીવે છે અને પોતાને તાજગી આપવા માટે બરફના પાણીથી ચહેરો સાફ કરે છે. તે શૂટિંગ પહેલા પૂજા પણ કરે છે. રજાના દિવસોમાં કસરત પર વધુ ધ્યાન આપે છેજ્યારે શૂટિંગ ન હોય ત્યારે તે મોડા ઉઠવાનું પસંદ કરે છે. આરામથી પાણી અને કોફી પીવે છે. પોતાની માતા સાથે વાતો કરે છે અને નેટફ્લિક્સ જુએ છે. શૂટિંગના વ્યસ્ત શેડ્યૂલને કારણે વર્કઆઉટ કરવાનું મુશ્કેલ બને છે, તેથી તે રજાના દિવસોમાં કસરત કરવા પર વધુ ધ્યાન આપે છે. હાલ ઉનાળાની ગરમી વિશે વાત કરતા તે જણાવે છે કે, દિવસના અંતે તેને માત્ર આરામદાયક ઊંઘની જરૂર હોય છે. શૂટિંગને લઈ સવારે વહેલા તૈયાર થવું પડતું હોય છેઅભિનેત્રી તેમના શૂટિંગના અનુભવો અને વ્યક્તિગત પસંદગીઓ વિશે જણાવે છે કે, તેઓ પોતાની સાથે બેડશીટ અને ઓશીકાનું કવર લઈ જવાનું પસંદ કરે છે. કારણ કે, તેઓ અન્ય કોઈની બેડશીટ પર સૂવાનું પસંદ નથી કરાતા. એક્ટિંગએ મગજ અને શરીર બંનેનું કામ છે. શૂટિંગ દરમિયાન ઘણીવાર સવારે વહેલા તૈયાર થવું પડતું હોય છે અને સતત સાવધ રહેવું પડે છે, પછી ભલે તે કોઈ પણ પ્રકારનું દૃશ્ય હોય. અમારે નોર્મલી સૂવાનું હોતું જ નથી બધુ એબનોર્મલ હોયબિઝનેસ વુમેન રૂઝાન ખંભાતાએ જણાવ્યું હતું કે, લોકો મને સૂર્યવંશી કહે છે. અમે IT (ઇન્ફોર્મેશન ટેકનોલોજી) ફિલ્ડમાં છીએ, એટલે અમારે નવી-નવી ટેક્નોલોજીના પ્રયોગ કરવાનો હોય, RD ચાલતું હોય, નવું શું ચાલે છે એનું ડેવલોપમેન્ટ તે જોવું પડે. અમારા એબ્રોડના ઓર્ડરના પણ હેન્ડલ કરવાના હોય. એટલે રાત્રે અમારે વધારે કામ હોય. દિવસમાં હું સોશિયલ સેવા કરૂં છું. દિવસમાં એ કામ હોય એટલે તમે પૂછો કે નોર્મલી કેટલા વાગ્યે સૂવો, તો એવું નોર્મલ ના હોય. અમારે એબનોર્મલ હોય. કારણ કે રાત્રે કામ ચાલતુ હોય. જો કંઈ અર્જનટ હોય કે આ પ્રોજેક્ટમાં કામ કરવાનું હોય, તો અમારે સવારના 5 કે 6 વાગ્યા સુધી કામ કરવું પડે અને પછી સવારે 9, 10 કે 11 વાગ્યે ઉઠવાનું હોય એ ડિપેન્ડ કરે. ઉઠવાનું એવું છે કે, હું અલાર્મ મુકતી જ નથી. કારણ કે કોઈને કોઈ સવારે ફોન કરી જ દે. એટલે સવારે ઉઠી જવું પડે. આજે પણ એવું જ થયું અને પાછું એને એ લોકો ફોન પર ફોન કરે. એટલે ઘણીવાર ઉઠવું જ પડે. એટલે એવું કોઈ રૂટિન કામ નહીં. મારે નોર્મલી 2 વાગે સુતા અને 8 વાગ્યે ઉઠવાનું હોયજો રૂટિન બની શકે ઇફ પોસિબલ હોય તો મારે નોર્મલી 2 વાગ્યે જ સુતા અને 8 વાગ્યે ઉઠવાનું હોય. સૌથી પહેલાં તો ઉઠીને મને પેપર વાંચવાની આદત છે. આજકાલ થોડી ઓનલાઈન પણ ન્યૂઝ જોવાની આદત છે. એટલે એ પહેલું કામ હોય મારું અને પછી ફોન આવે તો ઘણા કામો ફોન પર થાય. અથવા કોઈ પ્રોજેક્ટ રિલેટેડ વાતો થતી હોય પછી ઓફિસના કામ કરવા બેસતા હોઇએ. બિઝનેસનું કામ કરવા બેસતા હોઈએ તો સપોર્ટ સ્ટાફને મદદ કરતા હોઈએ કે કોઈ કસ્ટમરનો કોલ આવે તો એમને હેન્ડલ કરવાના કારણ કે એ મારું રૂટિનનું કામ હોય. પ્રોજેક્ટ ચાલતો હોય અથવા અમે ઘણી પ્રવૃત્તિઓ કરતા રહેતા હોઇએ. સવારે ટાઈમ મળે તો થોડી એક્સરસાઇઝ કરી લઉંહું કોશિશ કરું છું કે, એક્સરસાઇઝ કરવાની તો સવારે ટાઈમ નીકળે અથવા પોસિબલ હોય તો હું થોડી એક્સરસાઇઝ કરી લઉં અને સાંજે ઓનલાઈન હોઇએ. ઓનલાઈન કંઈપણ અમે શીખતા હોઈએ. હું પણ શીખું છું તો કંઈક ઓનલાઈન ક્લાસીસ જોઇન કરવાના અથવા કોઈને જોડે ઓનલાઈન વાતો કરવાની એટલે આ રીતે આખો દિવસ નીકળી જાય. આપણે આપણા શરીરનો આદર કરવો જોઈએતેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઊંઘ એટલે આપણે ફરીથી ઊર્જાવાન (re-energize) થઈએ છીએ. આખા દિવસનો જે થાક હોય, તેને દૂર કરવા માટે આપણે આપણા શરીરનો આદર કરવો જોઈએ. ભગવાને આપણને આટલું સરસ શરીર આપ્યું છે. આપણી ચેતાતંત્ર (nervous system), સ્નાયુબદ્ધ તંત્ર (muscular system) અને શરીરમાં જે વિવિધ પ્રકારના રસાયણો (chemicals) છે, તે જ્યારે આપણે કોઈ પ્રવૃત્તિ કરીએ ત્યારે સક્રિય થાય છે, જેને હું 'હેપ્પી હોર્મોન્સ' કહું છું - જેમ કે ડોપામાઇન, એન્ડોર્ફિન, ઓક્સિટોસિન અને સેરોટોનિન. શરીર અને અંગોને આરામ આપવો ખૂબ જરૂરીજ્યારે તમે આખો દિવસ પ્રવૃત્તિ કરો છો, ત્યારે તમારું સ્વાયત્ત ચેતાતંત્ર (autonomic nervous system) કાર્યરત રહે છે. ઊંઘના ઘણા પ્રકારો છે, જેમ કે ઊંડી ઊંઘ (deep sleep) અને REM સ્લીપ. સારી ગુણવત્તાવાળી ઊંઘ મેળવવા માટે શરીર અને અંગોને આરામ આપવો ખૂબ જરૂરી છે. સુરતના 'ડાયમંડ કિંગ'નું હેલ્ધી રૂટિન અને સ્લીપ સાયકલસુરતના અગ્રણી ઉદ્યોગપતિ અને રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા (કાકા) એ પોતાના રોજિંદા જીવનના રસપ્રદ પાસાઓ અને ઊંઘના સમયપત્રક વિશે ખાસ વાતચીત કરી હતી. સાત્વિક આહાર અને રાત્રિનું રૂટિનગોવિંદભાઈ જણાવે છે કે તેમની રાત્રિની શરૂઆત વહેલા ભોજનથી થાય છે. સાંજે 7:30 થી 8 વાગ્યાની વચ્ચે અત્યંત સાદો અને સાત્વિક આહાર લેવાનું પસંદ કરે છે, જેમાં ખીચડી, સૂપ, કઢી, શાક અને બાજરાના રોટલાનો સમાવેશ થાય છે. રાત્રે 9 થી 10 વાગ્યા દરમિયાન તેઓ પરિવાર સાથે ગુણવત્તાસભર સમય વિતાવે છે અને 'ફેમિલી મીટિંગ' કરે છે. આ બધી પ્રક્રિયા બાદ તેઓ રાત્રે 11 થી 11:30 વાગ્યાની આસપાસ સૂવાનું થાય છે. હું સવારે 6:30 થી 7 વાગ્યાની વચ્ચે જાગું છુંસામાન્ય રીતે લોકો એવું માનતા હોય છે કે સફળ વ્યક્તિઓ પરોઢિયે 5 વાગ્યે જાગી જતી હોય છે, પરંતુ ગોવિંદકાકા આ બાબતે ખૂબ જ સ્પષ્ટ અને સહજ છે. તેમણે જણાવ્યું કે, બધાને એમ થાય કે ગોવિંદકાકા 5 વાગ્યે જાગતા હશે, પણ મારાથી એટલું વહેલું જગાતું નથી. હું સવારે 6:30 થી 7 વાગ્યાની વચ્ચે જાગું છું. ગોવિંદભાઈ ધોળકિયાનું જીવન એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે, જો તમે સમયનું યોગ્ય વ્યવસ્થાપન કરો અને શરીરની જરૂરિયાત મુજબ પૂરતી ઊંઘ લો, તો તમે વ્યવસાય અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવી શકો છો. 7 કલાકની ગાઢ ઊંઘ અને શિસ્તબદ્ધ દિનચર્યા જ તેમને આજે પણ ઉર્જાવાન રાખે છે. જાણો તે 5 પ્રકારના સ્લીપ ડિસઓર્ડર્સ વિશે, જેનાથી લોકો સૌથી વધારે પ્રભાવિત થાય છે... 1. ઈન્સોમ્નિયા ઈન્સોમ્નિયા એક એવી બીમારી છે જેમાં મનુષ્યને ઊંઘ નથી આવતી. તે જેટ લેગ, ચિંતા, એન્ક્ઝાઈટી, હોરમોન્સ અને પાચનની સમસ્યાના કારણે થઈ શકે છે. આજના યુગમાં ઊંઘ ન આવવી તે સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. તેનાથી ડિપ્રેશન, મેદસ્વિતા, ચીડીયાપણું અને ફોકસ ન કરવા જેવી સમસ્યા પણ થઈ શકે છે. ઈન્સોમ્નિયા 30%થી 45% અડલ્ટ વસ્તીને અસર કરે છે. આ વખતે કરવામાં આવેલા સંશોધનના અનુસાર, ઈન્સોમ્નિયાના દર્દીઓને નોર્મલ લોકોની તુલનામાં એક્સિડન્ટમાં ગંભીર રીતે ઘાયલ થવાનું અથવા મૃત્યુનું જોખમ 7 ગણું વધારે હોય છે. ઊંઘ ન આવવાની બીમારી મોટાભાગની મહિલાઓ અને વધુ ઉંમરના એડલ્ટ્સને હોય છે. 2. સ્લીપ એપનિયા તાજેતરમાં પ્રખ્યાત બોલિવૂડ ગાયક/સંગીતકાર બપ્પી લાહરીનું મૃત્યુ ઓબ્સટ્રક્ટિવ સ્લીપ એપનિયાથી થયું હતું. આ સ્લીપ એપનિયાનો જ એક પ્રકાર છે. આ બીમારીમાં સૂતા સમયે મનુષ્યને ખબર નથી પડતી અને તેનો શ્વાસ બંધ થઈ જાય છે. તેનાથી તેના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે. શ્વાસ બંધ થઈ જવાની આ સમસ્યા 10 સેંકડથી લઈને 1 મિનિટ સુધીની હોય શકે છે. આવું એક કલાકમાં સરેરાશ 5 વખત થઈ શકે છે. વજન વધારે હોવા પર સ્લીપ એપનિયાનું જોખમ વધી જાય છે. તેનાથી હૃદય પર દબાણ વધે છે. સૂઈને જાગ્યા પછી મોં સૂકાઈ જવું અને રાત્રે પરસેવો આવવો તેના જ કેટલાક લક્ષણો છે. 3. પેરાસોમ્નિયા ઊંઘમાં ખલેલ પહોંચાડતા ઘણા ડિસઓર્ડર્સના સેટને પેરાસોમ્નિયા કહેવામાં આવે છે. તેમાં ઊંઘમાં ચાલવું, ઊંઘમાં બોલવું, ખરાબ સપના આવવા, પથારી ભીની કરવી, શરીર સુન્ન થઈ જવું અને જડબા જકડાઈ જાય છે. પેરાસોમ્નિયા મોટાભાગે બાળકો અને વૃદ્ધને જાય છે. ઊંઘ પૂરી ન થવાથી, સારી ઊંઘ વચ્ચે તૂટી જવી અને મેડિકેશન્સના કારણે પેરાસોમ્નિયા થઈ શકે છે. તેની સાથે જ વધારે ચિંતા, પ્રેગ્નન્સી, મગજમાં ઈજા, દારૂ અથવા ડ્રગ્સનું સેવન અને પરિવારમાં કોઈને આ બીમારી હોવાથી તમે પણ તેનો ભોગ બની શકો છો. 4. રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ (RLS) રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમમાં વ્યક્તિ પોતાનો પગ હલાવતો રહે છે. તેના પગ પર કંટ્રોલ નથી રહેતો, એટલે કે ધ્યાન હટી ગયું તો પગ હલવાનું શરૂ. સતત પગ હલાવવાની આ આદતના કારણે લોકોને પગમાં ઝણઝણાટી થવા લાગે છે. આ લક્ષણ દિવસમાં જોવા મળી શકે છે, તેમજ રાતમાં તે ભાયનક સ્વરૂપ ધારણ કરી લે છે. તેનાથી લોકોની ઊંઘ ખરાબ થાય છે. RLS હોવાનું કોઈ સ્પષ્ટ કારણ નથી. તેને અન્ય બીમારીઓ સાથે જોડીને જોઈ શકાય છે. તેના મોટાભાગના દર્દી અટેન્શન ડેફિસિટ હાઈપરએક્ટિવિટી ડિસઓર્ડર (ADHD) અથવા પાર્કિન્સન બીમારીથી પીડિત હોય છે. 5. નાર્કોલેપ્સી નાર્કોલેપ્સીને સ્લીપ અટેક પણ કહેવામાં આવે છે. તેમાં વ્યક્તિને જાગતી વખતે અચાનક થાક લાગે છે, જેનાથી તે તરત સૂઈ જાય છે. આ ડિસઓર્ડર લોકોમાં સ્લીપ પેરાલિસિસની સમસ્યા વિકસાવી શકે છે. તેના કારણે તમે ઊંઘમાંથી ઉઠ્યા પછી થોડો સમય તમારું શરીર મૂવ નથી કરી શકતા. આમ તો નાર્કોલેપ્સી તેની જાતે થઈ શકે છે, પરંતુ તેમ છતાં તેને કેટલાક ન્યૂરોલોજીકલ ડિસઓર્ડર્સ સાથે લિંક કરી શકાય છે. તેમાં મલ્ટિપલ સ્કલેરોસિસ સામેલ છે. (Disclaimer: આ માત્ર સામાન્ય જાણકારી માટે છે. ઊંઘ સાથે સંબંધિત કોઈપણ સમસ્યા થવા પર ડૉક્ટરની સલાહ જરૂરથી લો)
ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ હવે તેના અંતિમ તબક્કામાં છે. આગામી 14 માર્ચે ધો.12 આર્ટ્સમાં સામાજિક વિજ્ઞાનનું તથા 16 માર્ચે 12 સાયન્સમાં બાયોલોજી, 12 કોમર્સમાં 17 માર્ચે એકાઉન્ટનું પેપર છે. આ બોર્ડ પરીક્ષાને લઈ દિવ્ય ભાસ્કર મેઇન પેપરમાં અંતિમ ઘડીઓમાં કેવી રીતે તૈયારીઓ કરવી તેની એક્સપર્ટ્સ ટિપ્સ જણાવી રહ્યું છે. બાયોલોજીમાં MCQ બાદ અનુક્રમે 2,3 અને 4 માર્કના જવાબ લખોબોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સમાં બાયોલોજીનું પેપર દર વર્ષે વિદ્યાર્થીઓને લાંબુ લાગે છે. જોકે તે માટે વિદ્યાર્થીઓએ MCQનો પ્રથમ વિભાગ પૂર્ણ કર્યા બાદ અનુક્રમે 2,3 અને 4 માર્કના સવાલોના જવાબો લખવા જોઈએ. આ ઉપરાંત વિદ્યાર્થીઓ આ પેપરમાં આકૃતિ દોરવામાં વધુ સમય ન બગાડે અન્યથા પેપર અધૂરું રહી જશે. એક્સપર્ટના કહેવા પ્રમાણે વિદ્યાર્થીઓ પેપર લખશે તો તેઓ સમયસર પેપર પૂર્ણ કરી શકશે અને તેનાથી માર્ક પણ વધુ આવશે. જો આ ભૂલ કરી તો બાયોલોજીનું પેપર અધૂરું રહી જશેઆ અંગે રાજકોટની પ્રીમિયર સ્કૂલના ડાયરેક્ટર નેહા દેસાઈએ જણાવ્યું હતું કે, બાયોલોજીનુ પેપર થિયરીનું હોવાથી લાંબુ લાગે છે. ઘણીવાર વિદ્યાર્થીઓ 4 માર્કના સવાલો પહેલા લખવાની ભૂલ કરતા હોય છે. જો વિદ્યાર્થીઓ આ ભૂલ કરશે તો બાયોલોજીનું પેપર અધૂરું રહી જવાની પૂરેપૂરી શક્યતા છે. 2 માર્કના સવાલો પહેલા લખે તો 40 મિનિટમાં પૂરું થઈ જાય છે. બીજી 40 મિનિટમાં 3 માર્કના સવાલોના જવાબો લખે અને છેલ્લે 4 માર્કના સવાલોના જવાબો લખે. જેથી પેપર સમયસર પૂર્ણ થઈ જશે. નબળા વિદ્યાર્થીઓએ જો યુનિટ 3,4 અને 5 કર્યું તો પાસ આ ઉપરાંત બાયોલોજીમાં ફિગર્સ આવે. જેથી વિદ્યાર્થીઓને એમ થાય કે હું આર્ટિસ્ટિક ફિગર્સ ડ્રો કરું. જોકે ફિગરના એક સવાલમાં અડધોથી એક માર્ક હોય છે. જેથી ફિગર ડ્રો કરવામાં વધુ સમય ન લગાડવો. બાયોલોજીના પેપરમાં 5 યુનિટ આવે છે. જેમાં યુનિટ 2 સૌથી અઘરું છે. નબળા વિદ્યાર્થીઓએ જો યુનિટ 3,4 અને 5 કર્યું હોય તો પાસ થઈ જાય. જેનાથી થોડા હોશિયાર વિદ્યાર્થીઓ યુનિટ 1,3,4 અને 5 કરે. જ્યારે જે વિદ્યાર્થીઓ સૌથી હોશિયાર છે તેમને જ 13 ચેપ્ટરના પાંચ યુનિટ કરવા જોઈએ. ફિઝિક્સનું સાટું વાળી દેશો તો NEET આપી શકશોતેમણે જણાવ્યું હતું કે, B ગ્રૂપના વિદ્યાર્થીઓને ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી આવે છે. જેમનું મેથ્સ નબળું હોય તેઓએ બી ગ્રુપ લીધું હોય છે. NEETમાં બોર્ડના માર્કની 50% એલિજીબિલિટી છે. વિદ્યાર્થીઓ મહેનત કરે તો બાયોલોજીમાં 100માંથી 75થી વધુ માર્ક આરામથી આવી જાય તેમ છે. જેથી ફિઝિક્સનું પેપર કદાચ નબળું ગયું હોય તો બાયોલોજીના માર્કના લીધે મેડિકલમાં પ્રવેશ માટેની NEETની પરીક્ષા આપી શકે. પહેલા બાયોલોજીનું પેપર ત્રણ માર્ચે રાખવામાં આવ્યું હતું. પરંતુ હોળી અને ધુળેટીના તહેવારોના કારણે આ પેપર 16 માર્ચે લેવામાં આવનાર છે. જેથી વિદ્યાર્થીઓને વાંચવાના વધુ દિવસો મળતા તૈયારીમાં તાકાત લગાવી દેવી જોઈએ. એકાઉન્ટમાં આ દાખલાઓ બ્રહ્માસ્ત્ર સાબિત થશેજ્યારે ધો.12 કોમર્સના એકાઉન્ટના પેપર અંગે વડોદરાના એક્સપર્ટ જીગર દરજીએ જણાવ્યું હતું કે, અંતિમ ઘડીમાં એક જ વસ્તુ કહેવા માંગીશ કે કોઈ નવા અખતરાઓ કરવાની જરૂર નથી. ફક્ત ને ફક્ત આપણી ચોપડીના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ જ જોઈ લો એ જ તમારા માટે બ્રહ્માસ્ત્રનું કામ કરશે. અન્ય બહારના કોઈ પેપર સેટ હોય તેની પાછળ કોઈ પણ પ્રકારની મહેનત અંતિમ સમયમાં ન કરો, કારણ કે કેટલીક વખત એ ગેરમાર્ગે દોરે છે. MCQ અને શોર્ટ પ્રશ્નો પાછળ મહેનત કરી લોવધુમાં કહ્યું કે,વિભાગ-D ની વાત કરીએ તો એમાં તમારે ફક્ત પાઘડીનું ચેપ્ટર જોઈ લો, એમાં તમારા બે દાખલા કવર થઈ જશે અને બીજા ભાગમાંથી છેલ્લા ત્રણમાંથી કોઈ એક જ ચેપ્ટર જોઈ લો તો તમારા 12માંથી 12 તમારે ત્યાં રોકડા મળી જશે. સાથે MCQ આપણી પાસે અવેલેબલ છે, તો 20 માર્ક્સના MCQ છે અને 10 માર્ક્સના શોર્ટ પ્રશ્નો છે, એની પાછળ મહેનત થઈ શકે છે. મૂડીને લગતા હવાલા સોલ્વ ખાસ કરજોઆ વખત માટે ખાસ, ભાગીદારનો પ્રવેશ અને નિવૃત્તિના જો દાખલાની વાત કરીએ તો એમાં મૂડીને લગતા હવાલા સોલ્વ ખાસ કરજો, એના સંદર્ભે દાખલા આવવાની શક્યતા 100 ટકા છે. તમારું કામ એક જ છે કે પેપર પર પૂરેપૂરું ધ્યાન આપો. અંતિમ પેપર છે એટલે મહાભારતમાં કહ્યા પ્રમાણે-કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન, મા કર્મ ફલહેતુ ર્ભૂર્મા તે સંગોઽસ્ત્વકર્મણિ.તમારું કામ કર્મ કરવાનું છે, ફળ તમને તમારી કાર્યક્ષમતા પર મળી જ જવાનું છે. સામાજિક વિજ્ઞાનમાં MCQ-ખાલી જગ્યા માટે ટેક્સ્ટબુક કરી લોધો.12 આર્ટસના સામાજિક વિજ્ઞાન અંગે એચ.બી. કાપડિયા ન્યૂ હાઈસ્કૂલમાં 32 વર્ષથી સામાજિક વિજ્ઞાન વિષય ભણાવી રહેલા જયંતી ભરવાડે જણાવ્યું કે, સૌપ્રથમ તેઓ સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્રની રચના સમજાવે છે. બોર્ડ પરીક્ષામાં કુલ ચાર વિભાગ A, B, C અને D હોય છે. વિભાગ A કુલ 24 ગુણનો હોય છે. આ વિભાગ સામાન્ય રીતે MCQ, ખાલી જગ્યા, જોડકાં મિલાવો અથવા ખૂબ ટૂંકા જવાબવાળા પ્રશ્નોનો સમાવેશ કરે છે. વિદ્યાર્થીઓએ આ વિભાગ માટે સંપૂર્ણ પાઠ્યપુસ્તકનું ધ્યાનપૂર્વક પુનરાવર્તન કરવું જોઈએ, કારણ કે નાનામાં નાની વિગતો પણ અહીંથી પૂછાઈ શકે છે. વિભાગ B 18 ગુણનો હોય છે, જેમાં 13 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. અહીં વિદ્યાર્થીઓને વિકલ્પ મળે છે, પરંતુ યોગ્ય પસંદગી કરવી અગત્યની છે. જે પ્રશ્નો સારી રીતે આવડે છે અને સ્પષ્ટ રીતે સમજાવી શકાય તે જ લખવા. અનાવશ્યક જોખમ લેવાને બદલે સ્પષ્ટતા અને ચોકસાઈ રાખવી વધુ સારું. લાંબો જવાબ મુદ્દાઓમાં વહેંચવોવિભાગ Cમાં 9 પ્રશ્નોમાંથી 6 પ્રશ્નોના જવાબ આપવા પડે છે. આ વિભાગમાં સામાન્ય રીતે ટૂંકા પરંતુ મુદ્દાસર જવાબોની માંગ હોય છે. વિદ્યાર્થીઓએ મુદ્દા પાડી, ગોઠવણપૂર્વક અને સ્પષ્ટ ભાષામાં જવાબ લખવા જોઈએ. જો જવાબ લાંબો બને તો પણ તેને મુદ્દાઓમાં વહેંચવાથી પરીક્ષકને સમજવામાં સરળતા રહે છે. નકશા આધારિત પ્રશ્નો પૂછાવાની સંભાવના ખાસ કરીને પ્રકરણ 8, 9,10 અને 13માંથી નકશા આધારિત પ્રશ્નો પૂછાવાની સંભાવના વધુ હોય છે. તેથી વિદ્યાર્થીઓએ ભારત અને વિશ્વના નકશામાં મહત્વના સ્થળો, નદીઓ, પર્વતો, કૃષિ પાક ક્ષેત્રો વગેરેનું સચોટ નિદર્શન કરવાની પ્રેક્ટિસ કરવી જોઈએ. ચિત્રો, ચાર્ટ અને કોષ્ટકોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવોતેઓએ ખાસ કરીને ચિત્ર આધારિત પ્રશ્નો પર ભાર મૂકે છે. તેઓ જણાવે છે કે MCQ અને લાંબા પ્રશ્નોમાં પાઠ્યપુસ્તકમાં આપેલા ચિત્રો પરથી પ્રશ્નો પૂછાઈ શકે છે. ઉદાહરણ તરીકે, રંગલો-રંગલીના પાત્રો કઈ લોકકલાથી સંબંધિત છે? તેનો જવાબ ‘ભવાઈ’ છે. આવા પ્રશ્નો માટે વિદ્યાર્થીઓએ પાઠ્યપુસ્તકના તમામ ચિત્રો, ચાર્ટ અને કોષ્ટકોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. ઘણી વખત વિદ્યાર્થીઓ લખાણ વાંચે છે. પરંતુ ચિત્રો અવગણે છે, જેનાથી સરળ ગુણ ગુમાવવાનો વારો આવે છે. ટૂંક નોંધની તૈયારી અંગે તેઓ ખાસ સૂચન આપે છે. ઘણા પ્રશ્નો સીધા પુસ્તક મુજબ નહીં, પરંતુ થોડા ફેરફાર સાથે પૂછવામાં આવે છે. જેમ કે દુનિયાની સાત અજાયબીઓમાંની એક વિશે જણાવો એવો પ્રશ્ન આવી શકે છે, જેમાં ‘તાજમહેલ’ વિશે ટૂંકમાં માહિતી આપવાની હોય છે. તેથી વિદ્યાર્થીઓએ દરેક મહત્વના વિષય પર 4-5 મુદ્દાની ટૂંક નોંધ તૈયાર રાખવી જોઈએ. કૃષિ પાક સંબંધિત પ્રશ્નો માટે પણ યોગ્ય તૈયારી જરૂરીકૃષિ પાક સંબંધિત પ્રશ્નો માટે પણ યોગ્ય તૈયારી જરૂરી છે. ડાંગર, મગફળી, ઘઉં, કપાસ જેવા મુખ્ય પાકોની આબોહવા, જમીનની જાત, જરૂરી વરસાદ અને ઉત્પાદન પ્રદેશો વિશે સ્પષ્ટ સમજ હોવી જોઈએ. આવા પ્રશ્નો ઘણીવાર લાંબા ઉત્તર કે ટૂંક નોંધ રૂપે પૂછાય છે. જો વિદ્યાર્થીઓ મુદ્દાવાર તૈયારી કરે તો તેઓ સરળતાથી સંપૂર્ણ ગુણ મેળવી શકે છે. 10, 5 અને 17 પ્રકરણમાંથી 6 પ્રશ્નો પૂછાઈ શકેવિભાગ D માટે તેઓ ખાસ કરીને પ્રકરણ 10, 5 અને 17ને મહત્વપૂર્ણ ગણાવે છે. આ પ્રકરણોમાંથી આશરે 6 જેટલા પ્રશ્નો પૂછાવાની શક્યતા રહે છે. તેથી આ પ્રકરણોનું પુનરાવર્તન વારંવાર કરવું, મહત્વના મુદ્દાઓ હાઇલાઇટ કરવું અને શક્ય પ્રશ્નોની યાદી બનાવી પ્રેક્ટિસ કરવી લાભદાયી છે. અંતમાં, તેઓ પેપર પ્રેઝન્ટેશન અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપે છે. દરેક પ્રશ્નનો જવાબ મુદ્દા પાડીને લખવો જોઈએ. ગોઠવણ, સ્પષ્ટ લખાણ અને યોગ્ય શીર્ષકોનો ઉપયોગ ગુણ વધારવામાં મદદ કરે છે. નવો પ્રશ્ન હંમેશા નવા પાના પર શરૂ કરવો જોઈએ. આ રીતે પરીક્ષકને જવાબો તપાસવામાં સરળતા રહે છે અને ગુણ આપવામાં અનુકૂળતા થાય છે. જવાબો વચ્ચે યોગ્ય અંતર રાખવું, જરૂરી હોય ત્યાં અંડરલાઇન કરવું અને ગંદું લખાણ ટાળવું,આ બધી બાબતો સારા પ્રેઝન્ટેશનનો ભાગ છે.
ઘરેલું ગેસનો પુરવઠો રાજ્યભરમાં ખોરવાઇ ગયો છે. ખાસ કરીને કોમર્શિયલ ગેસની બોટલો મળતી નથી અને મળે તો કાળા બજારમાં 3થી 4 હજાર રૂપિયામાં મળે છે. જેને પગલે ખાણીપીણીનો ધંધો કરતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કેટલાક વેપારીઓને તો ગેસની બોટલ ના મળતા ધંધો બંધ કરવો પડ્યો છે. તો કેટલાક વેપારીઓ ગેસ સિલિન્ડરના બદલે કોલસાના ચૂલાથી વ્યવસાય કરી રહ્યા છે. જોકે કોલસાના ચૂલાથી ફૂડ તૈયાર કરવામાં ખૂબ વાર લાગતી હોવાથી ધંધો ખૂબ ઓછો થઈ રહ્યો છે. જેને કારણે વેપારીઓ હવે ઝડપથી ગેસ સિલિન્ડર મળે એવી માંગ કરી રહ્યા છે. '10-15 દિવસ લારી બંધ રહેશે તો અમે શું કરીશું?'વેપારી અરવિંદભાઈ મહતોએ જણાવ્યું હતું કે, મારી ઓમલેટની લારી છે સાહેબ, અત્યારે ગેસ સિલિન્ડર નથી મળી રહ્યા. તેના કારણે મારી લારી બંધ થઈ ગઈ છે. મારી આ લારી પર મારો 5 સભ્યોનો પરિવાર નભે છે. અત્યારે લારી બંધ હોવાથી મારા બાળકોના ભણતર અને ઘરનો ખર્ચ ક્યાંથી કાઢીશ? સાહેબ, અત્યારે બહુ તકલીફ છે. જો 10-15 દિવસ લારી બંધ રહેશે તો અમે શું કરીશું? 10-15 દિવસ સુધી બોટલ નહીં મળે. જો આટલા દિવસ કામ નહીં મળે તો અમે શું ખાઈશું? મારી પાસે અત્યારે બીજો કોઈ ધંધો નથી અને બાળકોની ફી ભરવાના પણ પૈસા નથી. '30 વર્ષમાં આવું પહેલીવાર બન્યું છે'તેઓએ કહ્યું કે, લગભગ 30 વર્ષથી ચલાવું છું પણ આવું પહેલીવાર બન્યું છે. અમે તો એટલું જ ઈચ્છીએ છીએ કે અમને ગેસ મળી રહે, જેથી અમારો ધંધો ચાલુ થાય અને મારા પાંચ સભ્યોના પરિવારનું પેટ ભરી શકાય. અત્યારે બહુ તકલીફ છે. મારે રોજનો 200 રૂપિયા જેટલો ખર્ચ તો ચા-પાણી અને બાળકોના સ્કૂલ-રીક્ષા ભાડામાં જ થાય છે. એ બધું ક્યાંથી કાઢવું? મારો પૂરો પરિવાર આના પર જ નિર્ભર છે. આજે લારી બંધ છે તો અમને ખાવા-પીવાની પણ તકલીફ પડી રહી છે. 'પહેલા એક કલાકમાં 20 ઓર્ડર નીકળતા હવે 5 ઓર્ડર માંડ નીકળે છે'વેપારી મયુર માછીએ જણાવ્યું હતું કે, સાહેબ બહુ જ તકલીફ પડી રહી છે. અમે ગરીબ માણસ છીએ. દિવસનો માંડ 1000-2000નો ધંધો થાય છે અને એમાં અમારે ઘર ચલાવવાનું હોય છે. દુકાનનું 5000 રૂપિયા તો ભાડું આપવાનું હોય છે. હવે અત્યારે ગેસના બોટલ મળતા નથી એટલે મજબૂરીમાં અમારે લાકડા અને કોલસાના ચૂલા પર ધંધો કરવો પડે છે. પહેલાં 2000-3000 રૂપિયાની ઘરાકી રહેતી હતી પણ અત્યારે ધંધો સાવ ઠપ થઈ ગયો છે. 'હું બોટલ લેવા ગયો ત્યારે મને 4500 ભાવ કહેવામાં આવ્યો'તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી હાલત બહુ ખરાબ છે. ઘરનું 7000 રૂપિયા જેવું ભાડું ચડી ગયું છે. એક લાખ રૂપિયાની લોન ચાલી રહી છે, જેના હપ્તા પણ બાઉન્સ થઈ રહ્યા છે. ગેસની આ કન્ડિશનને કારણે ફેમિલી ચલાવવું હવે મુશ્કેલ બની ગયું છે. હું જ્યારે બોટલ લેવા ગયો ત્યારે મને 4500 રૂપિયા જેવો ભાવ કહેવામાં આવ્યો હતો. બ્લેકમાં પણ ત્રણ ગણા ભાવ વસૂલવામાં આવે છે. અત્યારે જો અમે બુકિંગ કરાવીએ તો પણ 1800-2000 રૂપિયા જેવો ભાવ માંગે છે. આટલા મોંઘા ભાવે બોટલ લઈને ધંધો કરવો અમારા જેવા નાના વેપારીઓ માટે શક્ય નથી. 'અત્યારે અમે કોલસા નાખીને ચૂલાથી કામ ચલાવીએ છીએ'વેપારી યશકુમારે જણાવ્યું હતું કે, હવે શું કરીએ ભાઈ ગેસ સિલિન્ડર મળતા નથી, બ્લેકમાં મળવાનું પણ બંધ થઈ ગયું છે અને કોમર્શિયલ પણ નથી મળતા એટલે અત્યારે અમે કોલસા નાખીને ચૂલાથી કામ ચલાવીએ છીએ. બહુ જ મુશ્કેલી પડે છે. કામ બહુ ધીમે થાય છે. પહેલા જેવો ધંધો થતો હતો, એના કરતા અત્યારે ઘણો ઓછો ધંધો થાય છે. ધંધામાં બહુ મોટી અસર પડી છે. ગેસ કરતા ચૂલામાં સમય ઘણો વધારે લાગે છે. જે કામ ગેસ પર 5-10 મિનિટમાં થઈ જતું હતું, એમાં હવે અડધો કલાક કે તેથી વધુ સમય જાય છે. ઘણા ગ્રાહકો રાહ નથી જોતા અને આગળ નીકળી જાય છે. અત્યારે તો અમે આ ચૂલો ચાલુ કર્યો છે પણ ધીમે-ધીમે આ લાઈનમાં બધાએ જ આવું કરવું પડશે કારણ કે, બોટલ તો ખતમ થઈ જશે. અમારી પાસે જે હતા એ પૂરા થઈ ગયા છે અને નવા મળતા નથી. 'ગેસ નહીં મળે તો પછી કોલસાની ભઠ્ઠી કે એવું કંઈક લાવવું પડશે'વેપારી ઉપેન્દ્રભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, અત્યારે તો બહુ જ તકલીફ છે, પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે હવે ધંધો બંધ કરવો પડે એમ છે. અત્યારે મારી પાસે એક પણ ગેસની બોટલ નથી. હું અત્યારે ગેસની બોટલ જ શોધી રહ્યો છું. જો ગેસ નહીં મળે તો પછી કોલસાની ભઠ્ઠી કે એવું કંઈક લાવવું પડશે. અત્યારે તો એ જ વિચારી રહ્યા છીએ કે આગળ શું કરવું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે-ત્રણ દિવસથી આ તકલીફ છે. અમે બોટલ લેવા ગયા હતા પણ એમણે સાફ ના પાડી દીધી છે કે, અત્યારે કોમર્શિયલ ગેસ મળી રહ્યો નથી. કાળા બજારમાં પણ ક્યાંય ગેસ મળતો નથી. અમારી તો એક જ માંગણી છે કે વહેલી તકે ગેસના બોટલની વ્યવસ્થા કરવામાં આવે. જો કોમર્શિયલ ગેસ નહીં મળે તો અમારો ધંધો બંધ થઈ જશે. મારા પરિવારમાં ચાર સભ્યો છે અને આખો પરિવાર આ ધંધા પર જ નભે છે. આ ઉપરાંત, મારી સાથે કામ કરતા ચાર માણસોની રોજીરોટી પણ આના પર જ આધારિત છે. અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે, જો એ બંધ થાય તો જ ગેસની સપ્લાય સરખી થાય એવું લાગે છે, બાકી તો શું થઈ શકે? રેસ્ટોરન્ટ અને હોટેલોમાં થાળીમાં 4 શાકના બદલે માત્ર 2 જ શાકના વિકલ્પ ગુજરાતમાં હાલમાં વેસ્ટ એશિયાના સંઘર્ષ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં વિક્ષેપને કારણે એલપીજી (ગેસ સિલિન્ડર)ની સપ્લાયમાં તંગી જોવા મળી રહી છે. ઘણા એજન્ટો કહી રહ્યા છે કે બાટલાની ટ્રકો આવી રહી નથી, જેથી બુકિંગ થતી નથી અને ડિલિવરીમાં વિલંબ થઈ રહ્યો છે. આ સમસ્યા મુખ્યત્વે કોમર્શિયલ સિલિન્ડરોને અસર કરી રહી છે, જેના કારણે રેસ્ટોરન્ટ અને હોટેલોમાં થાળીમાં 4 શાકના બદલે હવે માત્ર 2 જ શાકના વિકલ્પ આપવામાં આવી રહ્યા છે અને કેટલીક જગ્યાએ ઓપરેશન્સ પણ અટકી ગયા છે. તંગીને કારણે લોકો ઇન્ડક્શન સ્ટવ તરફ વળ્યા છેબીજી તરફ, ઘરગથ્થુ ઉપયોગ માટે સરકારે ઔદ્યોગિક ગેસનું 50% કાપ કરીને પ્રાથમિકતા આપી છે, પરંતુ પેનિક બુકિંગને રોકવા બુકિંગ વચ્ચેનો ગેપ 25 દિવસ સુધી વધારી દેવામાં આવ્યો છે. આ તંગીને કારણે લોકો ઇન્ડક્શન સ્ટવ તરફ વળ્યા છે, જેથી ઇલેક્ટ્રોનિક દુકાનો અને ઓનલાઈન પ્લેટફોર્મ પર ઇન્ડક્શન સગડીઓનો સ્ટોક ઝડપથી ખાલી થઈ રહ્યો છે અને સેલ્સમાં અચાનક ધમાકો થયો છે. જોકે, પેટ્રોલ પંપ પર કોઈ હાડમારી કે લાંબી કતારો જોવા મળી રહી નથી કારણ કે, પેટ્રોલ-ડીઝલની સપ્લાય હજુ સ્થિર છે અને ફક્ત અફવાઓથી કેટલીક જગ્યાએ અસ્થાયી રશ જોવા મળ્યો હતો. સરકાર અને તેલ કંપનીઓ વધુ પ્રોડક્શન અને વૈકલ્પિક સ્ત્રોતો દ્વારા સ્થિતિ સુધારવાના પ્રયાસ કરી રહી છે, પરંતુ હાલમાં ઘરેલુ રસોડાઓમાં ચિંતા વધી રહી છે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
જ્યારે તમે મહિનાઓથી સાત સમુદ્ર પાર ફરવા જવાનું પ્લાનિંગ કરતાં હો અને ત્યાં પહોંચીને તમારો ઉત્સાહ અને ઉમંગ જીવના જોખમ અને આર્થિક તંગીમાં ફેરવાઇ જાય તો…? આવું જ કંઇક અમદાવાદના દંપતી કમલેશભાઇ વાળંદ અને ગીતાબેન સાથે બન્યું છે. તેઓ હોંશે હોંશે દુબઇ ફરવા માટે તો ગયા પણ જ્યારે ભારત પાછું આવવાનું હતું ત્યારે મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે દુબઇનું એરપોર્ટ બંધ થઇ ગયું. ભયાનક પરિસ્થિતિ વચ્ચે ફસાયેલા દંપતી પાસે નહોતા રહેવાના પૈસા કે નહોતી ખાવાની સગવડ. બીજી બાજું હોટલના ભાડા વધ્યાં અને ટ્રાવેલ એજન્સીએ હાથ ઊંચા કરી દીધા. ભૂખ, તરસ અને બ્લાસ્ટના અવાજો વચ્ચે ફસાયેલા આ ગુજરાતી પરિવારની વ્હારે અબુધાબીનું BAPS મંદિર અને બ્રહ્મવિહારી સ્વામી આવ્યા. વાંચો પારકા દેશમાં કેવી રીતે માનવતા અને સંસ્થાના સહયોગથી એક દંપતી હેમખેમ અમદાવાદ પરત પહોંચ્યું? 6 મહિના પહેલાં પ્લાનિંગ કર્યુંકમલેશભાઇ અને તેમના પત્નીએ 6 મહિના પહેલાં વિદેશ ફરવા જવાનું નક્કી કર્યું હતું. લાંબી ચર્ચા વિચારણા બાદ તેમણે દુબઇ જવાનું પસંદ કર્યું. જેના પછી દુબઇના પેકેજ વિશે 2-3 જગ્યાએ તપાસ કરી. જે દરમિયાન તેમને જાણવા મળ્યું કે રાજ ટ્રાવેલ્સમાં સારું પેકેજ છે એટલે તેમણે ત્યાં જ પેકેજ બુક કરાવ્યું હતું. દુબઇમાં બીજા 30 લોકોનો સાથ મળ્યોઆ દંપતી એક અઠવાડિયાની ટ્રિપ માટે 23મી ફેબ્રુઆરીએ અમદાવાદથી દુબઇ જવા નીકળ્યું હતું. અહીંથી ગયા ત્યારે પતિ-પત્ની બે એકલા જ હતા. લગભગ સાંજના સમયે તો તેઓ દુબઇ પહોંચી ગયા હતા. દંપતી જ્યારે દુબઇ એરપોર્ટથી મીના બજારમાં આવેલી હોટલમાં પહોંચ્યું ત્યારે તેમની સાથે અન્ય 30 લોકો પણ હતા. અહીં બધાને રાતના સમયે ક્રૂઝથી માંડીને સાઇટ સીન પર લઇ જવાયા હતા. છેલ્લા દિવસે જ્યાં દર્શન કર્યાં ત્યાંથી જ મદદ મળીટ્રિપના છેલ્લા દિવસે બધા અબુધાબીમાં BAPS મંદિરે ગયા અને ત્યાં દર્શન કર્યાં હતા. અહીં સુધી તો બધું સારૂં અને આનંદદાયક રહ્યું પણ ખરી મુશ્કેલી હવે શરૂ થવાની હતી. કાર રોકીને કહ્યું એરપોર્ટ બંધ છેકમલેશભાઇએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, ભારત પાછા આવવા માટે જ્યારે અમે હોટલથી એરપોર્ટ પર પહોંચ્યાં ત્યારે અત્યાર સુધી દુબઇમાં વિતાવેલા દિવસોની ખુશી અને ઉત્સાહ ચિંતામાં ફેરવાઇ ગયો. કેમ કે એરપોર્ટ પર અમારી કાર રોકીને કહેવામાં આવ્યું કે અહીં યુદ્ધના એંધાણ છે જેથી એરપોર્ટ બંધ કરાયું છે. દંપતી હોટલ પર પાછું ગયુંએરપોર્ટ બંધ થઇ જતાં આ દંપતી હવે આગળ શું કરવું તેની મૂંઝવણમાં મૂકાયું. તેમણે જણાવ્યું કે, આવા સમયે વિચાર આવવા લાગ્યો કે એક બાજુ યુદ્ધ જેવી પરિસ્થિતિ છે. બીજીતરફ એટલા પૈસા પણ નથી આવામાં જવું ક્યાં? જો અહીં અધવચ્ચે ઉતરી જઇશું તો ક્યાં રહીશું? જે હોટલમાં રોકાયા હતા ત્યાં સુધી પાછા કેવી રીતે પહોંચીશું? એટલે અમે કારવાળા ડ્રાઇવરભાઇને કહ્યું કે અમને પાછા એ જ હોટલ પર ઉતારી દો. પાણીની એક બોટલના 125 રૂપિયાકમલેશભાઇ અને ગીતાબેન જ્યારે હોટલ પર પાછા પહોંચ્યા ત્યારે હોટલે ભાડું પણ વધારી દીધું હતું. તેઓ કહે છે કે, અમે હોટલ પર પહોંચ્યાં અને વાત કરી તો હોટલવાળાએ ભાડામાં વધારો કરી દીધો હતો. હોટલવાળા દિવસ દરમિયાન 2 જ બોટલ પાણી આપતાં હતા. એ પછી વધારે પાણી જોઇએ તો 5 દિરહામ (અંદાજે 125 રૂપિયા) ચૂકવવા પડતાં હતા.બીજીતરફ રાજ ટૂરે પણ એવું કહ્યું કે તમારી ટ્રીપ અહીંયા પૂરી થઇ ગઇ છે અને ફ્લાઇટની ટીકિટના પૈસા જ્યારે તમે પાછા આવશો ત્યારે તમને પરત કરી દઇશું. બાકી તમારી રીતે તમને જ્યાં સસ્તું લાગે ત્યાં રહો અને જમો. આવી સ્થિતિમાં તેમની પાસે પૈસા ખૂટી પડ્યાં હતા. ગ્રુપના બાકીના લોકોએ તેમના માટે 2 દિવસ સુધી હોટલ બૂકિંગથી લઇને ભોજન સુધીની વ્યવસ્થા કરી દીધી. જો કે તેમને એવું પણ કહ્યું કે બાકીના દિવસની વ્યવસ્થા તમે કરી લેજો. ભારત પાછા આવવાની કોઇ આશા નહોતીવાતને આગળ વધારતાં કમલેશભાઇએ કહ્યું, આવા સમયે અમારા એક દૂરના સંબંધીને વાત કરીને તેમની પાસે પણ મદદ માગી. મેં કહ્યું કે જ્યારે હું ભારત પરત ફરીશ એ પછી તમને પૈસા પાછા આપી દઇશ એટલે તેમણે બાકીના 2-3 દિવસની સગવડ કરી આપી. આમ કરતાં-કરતાં અમારા ચારેક દિવસ તો જેમ-તેમ કરીને નીકળી ગયા પણ હજી સુધી ભારત ક્યારે પરત ફરીશું તેની કોઇ આશા દેખાતી નહોતી. બીજીવાર કોઇની પાસે કેવી રીતે હાથ લંબાવવો તેની પણ મનમાં સતત ચિંતા ચાલતી હતી. ગળામાંથી એક કોળિયો પણ નહોતો ઉતરતો કે ન તો પાણી પીવું ગમતું હતું કેમ કે અમારી પાસે દુબઇનું નાણું જ નહોતું બચ્યું. માત્ર ભારતના પાંચેક હજાર રૂપિયા જ બચ્યાં હતા. સવાર-સાંજ ધડાકા સંભળાતાદુબઇ ટૂર દરમિયાનના અનુભવો અને ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિ અંગે વાત કરતાં કમલેશભાઇએ કહ્યું, અમને રોજ સવાર-સાંજ ધડાકા સંભળાતા હતા. જેવો ઘડાકાનો અવાજ સંભળાય એટલે અમે ટેન્શનમાં આવી જતાં હતા. જો કદાચ અમારા પર મિસાઇલ પડશે તો શું થશે? તેવો વિચાર આવતો હતો. 'રાતના સમયે ફોનમાં મેસેજ આવતાં એટલે હોટલના રૂમમાંથી બહાર નીકળીને હું નીચે પૂછવા જતો કે આ મેસેજ શેના આવી રહ્યાં છે? ત્યારે ત્યાંનો સ્ટાફ કહેતો કે અહીં જે પરિસ્થિતિ છે તે જોતાં સૂચના અપાઇ રહી છે કે તમે જે પણ મકાનમાં હો ત્યાંથી બહાર નીકળી જાવ અને ત્યાંથી દૂર જતા રહો. જેથી કોઇ હુમલો થાય તો સુરક્ષિત રહી શકાય.' મુશ્કેલીના આ સમયમાં અબુધાબીનું BAPS મંદિર તેમની મદદે આવ્યું. કેવી રીતે મંદિરનો સંપર્ક થયો અને ત્યાંથી શું-શું મદદ મળી તેની વાત કમલેશભાઇએ વિગતે કહી. અમદાવાદના ઋષિરાજ સ્વામીએ સાંત્વના આપીતેમણે જણાવ્યું કે, અમને સમાચાર મળ્યાં કે અબુધાબીનું BAPS મંદિર દુબઇમાં ફસાયેલા લોકોને મદદ કરી રહ્યું છે પણ મારી પાસે મંદિરનો નંબર નહોતો એટલે મેં મારા સગા ભાઇને કહ્યું કે તું શાહીબાગ BAPS મંદિરમાં જા. મારા ભાઇએ શાહીબાગ મંદિરે પહોંચીને મારી હોટલનું કાર્ડ અને પરિસ્થિતિ વિશે ઋષિરાજ સ્વામીને વાત કરી. ઋષિરાજ સ્વામીએ કમલેશભાઇના ભાઇને સાંત્વના આપીને કહ્યું કે હું તેમની વિગતો બ્રહ્મવિહારી સ્વામીને પહોંચાડી દઉં છું. તેઓ હાલ અબુધાબીમાં જ છે. 2 કલાકમાં જ બ્રહ્મવિહારી સ્વામીનો ફોન આવ્યોઆ અંગે કમલેશભાઇ કહે છે કે, મારી વિગતો જેવી પહોંચાડી કે તેના 2 જ કલાકમાં મારા પર બ્રહ્મવિહારી સ્વામીનો ફોન આવ્યો. સ્વામીએ કહ્યું કે તમારે ચિંતા કરવાની જરાય જરૂર નથી. હું અહીંના હરિ ભક્તોને કહું છું. એ તમને લેવા આવશે અને તમારી બધી જ વ્યવસ્થા થઇ જશે. બ્રહ્મવિહારી સ્વામી સાથેની વાતચીતના થોડા જ સમયમાં એક હરિભક્ત કાર લઇને કમલેશભાઇ અને તેમના પત્નીને લેવા હોટલ પર પહોંચ્યા હતા અને એક સારા મકાનમાં રહેવા-જમવાની સુવિધા કરી આપી હતી. જેના કારણે દંપતીને રાહત થઇ. અમદાવાદ આવવાની ટિકિટ કરાવી દીધીતેઓ કહે છે કે, હરિભક્તે 3 દિવસ સુધી સતત અમારા ભોજનથી લઇને રહેવા અને દવાની જરૂરિયાતનું પણ ખૂબ જ સારું ધ્યાન રાખ્યું હતું. ત્રીજા દિવસના અંતે તો અમને કહેવામાં આવ્યું કે તમારી ટિકિટ પણ અમે કરાવી દીધી છે આટલું સાંભળતા જ અમે ખૂબ જ રાજી થઇ ગયા હતા. હરિભક્તો એરપોર્ટ સુધી મૂકી ગયાકમલેશભાઇ અને તેમના પત્ની જ્યારે ભારત પાછા આવી રહ્યાં હતા ત્યારે 2 હરિભક્તો તેમને કારમાં લેવા આવ્યા હતા અને એરપોર્ટ સુધી મૂકી ગયા હતા. આ વાતને યાદ કરતા તેઓ કહે છે કે, હરિભક્તો અમારા માટે ભોજન પણ લઇને આવ્યાં હતા. જ્યારે અમને એરપોર્ટ ઉપર ઉતાર્યા અને અમે અંદર જતાં હતા ત્યારે પણ ખૂબ જ સહજભાવે હરિભક્તોએ કહ્યું કે અમે અહીં બહાર જ ઊભા છીએ. તમારી બધી પ્રોસેસ પૂરી થઇ જાય એ પછી જ અમે અહીંથી જઇશું. અમે એરપોર્ટમાં ગયા જે બાદ અમારી બધી પ્રોસેસ પૂર્ણ થઇ ગઇ પછી અમે તે હરિભક્તોને જાણ કરી અને અમારો ફોટો પણ તેમને મોકલી આપ્યો. આટલી વાત કહેતાં જ કમલેશભાઇને ડૂમો ભરાઇ ગયો. થોડીક ક્ષણ માટે તેઓ ચૂપ થઇ ગયા અને કહ્યું આ લોકો અમારી મદદે ન આવ્યાં હોત તો અમારું શું થાત? અમે દુબઇથી સુરક્ષિત રીતે અમદાવાદ એરપોર્ટ પર આવ્યાં. દીકરી અને જમાઇ અમને લેવા આવ્યાં હતા. બહાર આવતાં જ મેં તેમને કહ્યું કે પહેલાં તમે અમારો ફોટો પાડો અને સ્વામીને મોકલો કે અમે શાંતિથી પહોંચી ગયા છીએ. BAPS મંદિરે કરેલી મદદને આ દંપતી ક્યારેય ભૂલી શકે તેમ નથી.તેમણે કહ્યું કે, જ્યાં કોઇ સગા ન હોય ત્યાં અમને BAPS જેવી સંસ્થાએ મદદ કરી હતી એટલું જ નહીં અહીં પાછા આવવા માટે મોંઘામાં મોંઘી ટિકિટ કરી આપી. અમારા માટે તો એ લોકો ભગવાનના રૂપમાં હતા તેવું લાગ્યું. કેટલીક સંસ્થાઓ ત્યાં મદદ માટે કહેતી હતી પણ આવી કોઇ સુવિધા કરતી નહોતી પણ આ લોકોએ ખરેખર અમને સારી રીતે મદદ કરી. કમલેશભાઇ સાથે વાતચીત કર્યા બાદ દિવ્ય ભાસ્કરે તેમના પત્ની ગીતાબેન પાસેથી તેમનો અનુભવ જાણ્યો.ગીતાબેને કહ્યું કે, જ્યારે એરપોર્ટ બંધ કરી દેવાયું ત્યારે ચિંતામાં ને ચિંતામાં મારું બ્લડ પ્રેશર અને ડાયાબિટિશ હાઇ થઇ ગયું, શરીર વીક થઇ ગયું અને ચક્કર આવવા લાગ્યાં હતા. અમે રડીને રાતો વિતાવી છેઃ ગીતાબેન'અમારે ટૂર સિવાયના વધારાના પાંચેક દિવસ ત્યાં રહેવું પડ્યું હતું. આ દરમિયાન મને ઠંડી લાગી અને તાવ આવ્યો હતો. અમે હોટલવાળાને રિક્વેસ્ટ કરી હતી કે ઓઢવાનું એકસ્ટ્રા આપો. તેમણે ઓઢવાનું તો આપ્યું પણ હોટલનું ભાડું વધારી દીધું. હું સતત રડ્યાં જ કરતી હતી જેના કારણે મારા શરીર પર પણ તેની અસર પડી રહી હતી. ધડાકાના અવાજ સાંભળીને અમારા ધબકારા એકદમથી વધી જતાં હતા. બપોરે કે રાતે ઊંઘ પણ નહોતી આવતી. આખી આખી રાતો અમે રડીને કાઢી હતી.' પાછા આવ્યા ત્યારે હાશકારો થયોગીતાબેને ઉમેર્યું કે, જ્યારે પાછા આવવા માટે અમારી ટિકિટ બૂક થઇ અને અમે પાછા આવ્યાં ત્યારે અમને હાશકારો થયો હતો.
અંજાર નગરપાલિકા દ્વારા ટાઉનહોલ મધ્યે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના માર્ગદર્શન હેઠળ દસ દિવસીય ‘સ્વદેશી મેળા’ (શોપિંગ ફેસ્ટિવલ)નું આયોજન કરાયું હતું. તેના સમાપન અર્થે સમારંભનું આયોજન પાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણીના અધ્યક્ષ સ્થાને કરાયું હતું. કા. સમિતિ ચેરમેન પાર્થભાઈ સોરઠીયાએ કહ્યું કે, સ્થાનિકોની ઉત્સાહપૂર્વકની ભાગીદારીથી મેળો સફળ બન્યો છે. શહેર ભાજપ પ્રમુખ હિતેન વ્યાસે ધંધાર્થીઓ, શહેરીજનો તથા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. પાલિકાના પદાધિકારીઓના હસ્તે ભાગ લેનાર તમામ સ્થાનિક વેપારીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. સ્વાગત પ્રવચન ખીમજી સિંધવ, સંચાલન ભારતીબેન બારોટ અને આભારવિધિ રશ્મિનભાઈ ભીંડેએ કરી હતી. દસ દિવસ ચાલેલા સ્વદેશી મેળામાં રેસિન આર્ટ પ્રોડક્ટ, ગોબર અગરબતી ધૂપ, હોમ મેડ લિક્વિડ, હર્બલ શેમ્પૂ સાબુ, ક્રોસેટ પ્રોડક્ટ, દેશી અતર પરફ્યુમ, ગાયનું શુદ્ધ ઘી, અથાણા, પાપડ, ખાખરા, અજરખ સાડી, ડ્રેસ, કુર્તી વગેરે જેવા 57 સ્ટોલ રાખવામાં આવ્યા, જેને આવકાર મળ્યો હતો. જેમાં 15 હજાર વ્યક્તિઓએ મુલાકાત લીધી અને અંદાજિત રૂ.20 લાખનું વેચાણ થયું હતું. દરેક ધંધાર્થીઓને સ્ટોલ વીજળી, પાણી, સફાઈ સહિતની આનુસાંગિક સુવિધા સાથે વિનામૂલ્યે અપાઈ હતી. સ્થાનિક વેપારીઓએ પાલિકાનો આભાર આવા મેળાનું આયોજન સરકાર તરફથી દર ત્રણ માસે કરવું જોઈએ એવું પોતાનું મંતવ્ય જણાવ્યું હતું. ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરીયા, નરસિંહભાઈ દાવા, મયુરભાઈ હેરમા, નિરૂપાબેન પ્રજાપતિ, મીરલબેન વેગડ, જયભાઈ ખોડિયાર સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.
ભુજની સંસ્કાર કોલેજ બહાર 7 મહિના અગાઉ વિદ્યાર્થીનીનું છરીથી ગળું કાપીને હત્યા કરાઈ હતી. આ ઘટના બાદ યુનિવર્સિટી દ્વારા સંલગ્ન તમામ કોલેજોને પરિપત્ર મારફતે સૂચના અપાઈ હતી કે, કોલેજમાં સુરક્ષા ગાર્ડ, સીસીટીવી કેમેરા રાખવા ફરજિયાત છે પરંતુ યુનિવર્સિટી સંલગ્ન અબડાસાના કનકપરમાં આવેલી કોલેજ દ્વારા હજુ સુધી કોઈ સુવિધા ઉભી કરાઈ નથી. એક મહિના અગાઉ એબીવીપી દ્વારા આ મુદ્દે કોલેજમાં રૂબરૂ જઈને આચાર્ય સમક્ષ રજૂઆત કરાઈ હતી. જે મામલે યુનિવર્સિટીએ જવાબ માંગતા કોલેજ દ્વારા કુલસચિવને સંબોધીને 5 માર્ચના એવો જવાબ મોકલાયો કે, મેઇન ગેટ પાસે કેમેરા લગાવવાની કામગીરી ચાલુમાં છે જે 7 માર્ચથી શરૂ થશે. સુરક્ષા ગાર્ડની વ્યવસ્થા કરાઈ છે. પરંતુ એબીવીપીના કાર્યકરો દ્વારા કોલેજમાં ક્રોસ તપાસ કરતા હજુ સુધી કોઈ વ્યવસ્થા ઊભી કરાઈ ન હોવાનું સામે આવ્યું છે. જેથી કોલેજે યુનિ.ને ઉંધા ચશ્મા પહેરાવ્યા અને યુનિ.એ પહેરી પણ લીધા છે. સ્થળ પર જઈને કોઈ તપાસ કરાઈ નથી જેથી યુનિ.ની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. આ અંગેની વિગતો મુજબ, કનકપરમાં આવેલી એ.જે.પી.બી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં મહિના અગાઉ એબીવીપીની રજૂઆત બાદ તાજેતરમાં કોલેજ પ્રશાસને કચ્છ યુનિવર્સિટીને લેખિતમાં એવો જવાબ આપ્યો હતો કે, કોલેજમાં સીસીટીવી કેમેરા, સુરક્ષા ગાર્ડ અને લાઈબ્રેરી જેવી તમામ સુવિધા ઉપલબ્ધ કરી દેવાઇ છે. જોકે, વાસ્તવિકતા તપાસતા આ તમામ દાવા માત્ર કાગળ પર હોવાનું સાબિત થયું છે. વાડી વિસ્તારમાં આવેલી આ કોલેજમાં સુરક્ષાના નામે શૂન્ય વ્યવસ્થા હોવા છતાં યુનિ.એ કોલેજના ખોટા અહેવાલને આંખ મીંચીને સ્વીકારી લીધો, જે યુનિવર્સિટી અને ખાનગી કોલેજ વચ્ચેની શંકાસ્પદ મિલીભગત તરફ આંગળી ચીંધે છે. ભૂતકાળમાં જિલ્લાની અન્ય કોલેજોમાં બનેલી હિંસક ઘટના બાદ પણ યુનિ. તંત્ર કનકપર કોલેજની બેદરકારી સામે મૌન સેવી રહ્યું છે તે આશ્ચર્યજનક છે. એબીવીપીએ આક્ષેપ કર્યો છે કે યુનિવર્સિટી દ્વારા અંગત હિત ખાતર લાયકાત વિહોણી કોલેજોને છાવરવામાં આવે છે. સ્નાતકના છાત્રોને જ સ્નાતક જ ભણાવેચોંકાવનારી બાબત એ છે કે, જે કોલેજમાં વિદ્યાર્થીઓ સ્નાતક થવા જાય છે, ત્યાં તેમને ભણાવનારા 60 ટકાથી વધુ અધ્યાપકો પાસે પૂરતી લાયકાત નથી. યુજીસીના નિયમો મુજબ કોલેજમાં ભણાવવા માટે નેટ, સ્લેટ કે પીએચડી અનિવાર્ય હોવા છતાં અહીં માત્ર બેચલર ડિગ્રી ધરાવતા કેટલાક વ્યક્તિઓ પ્રાધ્યાપકની ખુરશી પર બેસી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. કચ્છ યુનિ.ની ભૂમિકા શંકાના દાયરામાંઅબડાસાની કનકપર કોલેજમાં શિક્ષણના નામે ચાલતી લોલમ લોલ પરાકાષ્ઠાએ પહોંચી છે. આ કોલેજ યુનિવર્સિટી સાથે જોડાણ ધરાવતી હોવા છતાં યુનિવર્સિટી પ્રશાસન લાયકાત વિહોણી નિમણૂકો સામે આંખ આડા કાન કરે છે. કોલેજમાં જઈને ક્રોસ તપાસના બદલે માત્ર કાગળ પરના જવાબને સાચો માની લેવામાં આવ્યો છે. યુનિ. દ્વારા સમયાંતરે તપાસનો દાવો કરાય છે તો સ્નાતક પ્રોફેસરો કેમ નજરે નથી ચડતા? વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થતા ચેડાં પર અંકુશ લાવવા અને લાયકાત વગરના સ્ટાફને દૂર કરી કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. ABVPએ તપાસ સમિતિની માંગ કરીયુનિ.દ્વારા તાત્કાલિક કનકપર કોલેજની રૂબરૂ મુલાકાત લઈ તપાસ કમિટી બનાવવામાં આવે તેમજ લાયકાત વિનાના સ્ટાફ તથા ગેરમાર્ગે દોરતો ખોટો અહેવાલ આપવા બદલ કોલેજની માન્યતા રદ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવે. જો આગામી દિવસોમાં આ મામલે સંતોષકારક પગલાં લેવામાં નહીં આવે, તો ABVP દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી કોલેજ અને યુનિવર્સિટી પ્રશાસનની રહેશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.
જેલમાં બિનવારસુ મોબાઈલ મળ્યા:પાલારા જેલમાં ગટરની કુંડી પાસે છુપાવેલા મોબાઈલ મળ્યા
શહેરની ખાસ ગણાતી પાલારા જેલમાંથી મોબાઈલ મળવા સામાન્ય બાબત બની ગઈ હોય તેમ એક મહિનાની અંદર બીજી વખત બિનવારસુ મોબાઈલ મળી આવ્યા હોવાનું બનાવ સામે આવ્યો છે. જેમાં અમદાવાદની ઝડતી સ્કવોર્ડે તપાસ કરતા દવાખાના વિભાગમાં ઈસીજી રૂમના પાછળ ગટરની કુંડી નજીક છુપાવેલા બે મોબાઈલ મળી આવ્યા છે. પાલારા ખાસ જેલ ખાતે 11 માર્ચના અમદાવાદની ઝડતી સ્કવોર્ડ ટીમે તપાસ હાથ ધરી છે.એ દરમિયાન સાંજે પોણા છ વાગ્યાના અરસામાં જેલની અંદર આવેલા દવાખાના વિભાગમાં ઈસીજી રૂમની પાછળ આવેલ ગટરની કુંડી નજીક જમીનમાં ખાડો કરીને છુપાવેલા બે મોબાઈલ મળી આવ્યા હતા. બન્ને મોબાઈલ પ્લાસ્ટિકમાં વીંટાળેલી હાલતમાં બિનવારસુ મળી આવ્યા હતા.જે મામલે ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથકે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે,અગાઉ 13 ફ્રેબ્રુઆરીના સ્થાનિક ટીમે ઝડતી તપાસ દરમિયાન બેરેક 505 ની બહાર આવેલા બાથરૂમ નજીક ગટરની ચેમ્બરના પાઈપમાંથી એન્ડ્રોઈડ મોબાઈલ,રાઉટર અને ચાર્જર કબ્જે કર્યા હતા.તેવામાં હવે ફરી એકવાર મોબાઈલ મળી આવ્યા છે.
વેધર રિપોર્ટ:કંડલા અને ભુજ 40 ડિગ્રીની નજીક, કાલથી ગરમીમાં રાહત
કચ્છ જિલ્લામાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ ઉનાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા એક સપ્તાહથી સમગ્ર જિલ્લામાં ગરમીનું મોજું ફરી વળ્યું છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. જોકે, આકરા તાપમાં શેકાતા કચ્છવાસીઓ માટે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. આવતીકાલથી તાપમાનમાં 2 થી ૪ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેનાથી ગરમીમાં આંશિક રાહત મળશે. ગુરુવારે કચ્છના વિવિધ શહેરોમાં ગરમીનો પારો ૩૫ ડિગ્રીને પાર કરી ગયો હતો, જેના કારણે લોકો પરસેવે રેબઝેબ થયા હતા. કચ્છમાં સૌથી ગરમ વિસ્તાર કંડલા એરપોર્ટ રહ્યો હતો જ્યાં 39.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ભુજ 39.6 ડિગ્રી, કંડલા પોર્ટ 36.૩ ડિગ્રી અને નલિયામાં 35.2 ડિગ્રી તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, આજના દિવસે હજુ ગરમીનો પારો ઊંચો રહેશે અને લૂ જેવો અનુભવ થશે. પરંતુ શુક્રવારથી પવનની દિશામાં ફેરફાર અથવા સ્થાનિક વાતાવરણના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાશે. જોકે, આ ઘટાડો માત્ર 2 થી 4 ડિગ્રી સુધીનો જ રહેશે, એટલે કે ઉનાળાની અસરો તો ચાલુ જ રહેશેે.
આવતીકાલે રાષ્ટ્રીય લોક અદાલત:કચ્છમાં કાલે રાષ્ટ્રીય લોક અદાલત અંદાજિત 10 હજાર કેસો રજૂ કરાશે
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ આવતીકાલે કચ્છ જિલ્લાના તમામ તાલુકા અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલત તથા ખાસ મેજિસ્ટ્રેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ડીએસએલએ કચેરી દ્વારા મળતી માહિતી મુજબ, કચ્છ જિલ્લામાંથી 10 હજાર જેટલા કેસો લોક અદાલત તેમજ સ્પેશિયલ સિટિંગ સમક્ષ રજૂ કરવામાં આવશે. જેમાં, ફોજદારી સમાધાનપાત્ર ગુનાઓ, જમીન સંપાદન વળતર કેસો, ગ્રાહક તકરારો, બેંક રિકવરી, લેબર વિવાદો, મોટર અકસ્માત વળતર કેસો, લગ્ન સંબંધિત તથા અન્ય દિવાની કેસો, પબ્લિક યુટિલિટી સર્વિસીસ સંબંધિત મામલાઓ જેમ કે બેંક રીકવરી, પાણીના બાકી લેણાં તથા નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 હેઠળના કેસોનો સમાવેશ કરવામાં થાય છે. વાહન અકસ્માત વળતર સબંધિત તકરારો માટે આયોજિત પૂર્વ બેઠકમાં ટ્રાફિક નિયમભંગ બદલ નોટિસ મળેલા વાહનચાલકોને બાકી દંડની રકમ ભરપાઈ કરી કેસોનો સમાધાનથી અંત લાવવા અપીલ કરાઇ છે. પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ મહિડા દિલીપ પી. ના માર્ગદર્શન હેઠળ આયોજિત લોક અદાલત અંગે વધુ માહિતી માટે ભુજ સ્થિત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (02832-254930) તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિઓ રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર, ભુજ, નખત્રાણા, દયાપર, નલિયા, માંડવી અને મુન્દ્રા ખાતે સંપર્ક કરી શકાય છે. કચ્છભરમાં આયોજિત લોક અદાલતની સાથે રાપર તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન એ.એમ.પાટડિયા દ્વારા રાપર ન્યાયાલયના એન.જે. રબારીનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:LPG ગેસનું સંકટ ઘેરૂ બન્યું, 20970 LPG બુકિંગ સામે 12959 બોટલ જ ઉપલબ્ધ
મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં ચાલી રહેલા યુદ્ધની અસરો હવે છેક સરહદી જિલ્લા કચ્છના રસોડા સુધી પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સપ્લાય ચેઈન ખોરવાતા કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી LPG ગેસનું સંકટ ઘેરૂ બન્યું છે. કચ્છમાં બુકિંગની સામે હાલ જથ્થો ઓછો હોવાનું સામે આવ્યું છે. જિલ્લાના મુખ્ય શહેરો ગાંધીધામ, ભુજ અને માંડવીમાં ગેસ એજન્સીઓ બહાર વહેલી સવારથી જ ગ્રાહકો ખાલી સિલિન્ડર લઈને લાઈનોમાં ઉભેલા જોવા મળી રહ્યા છે. કચ્છમાં ગેસ વિતરણ કરતી મુખ્ય ત્રણ ઓઈલ કંપનીઓ IOCL, BPCL, અને HPCL પાસે ગુરુવારના કુલ 20,917 ગ્રાહકોએ ઓનલાઇન બુકિંગ કરાવ્યું હતું. જેની સામે હાલ 12,959 ગેસની બોટલનો જ જથ્થો ઉપલબ્ધ છે. સાથે જ 7,496 બોટલ અન્ય શહેરોથી કચ્છ માટે રવાના કરવામાં આવ્યા છે. કચ્છના ઔદ્યોગિક હબ ગણાતા ગાંધીધામમાં સ્થિતિ વધુ વણસી છે. અહીં છેલ્લા ત્રણ દિવસથી એજન્સીઓ પાસે લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. જરૂરિયાત સામે પૂરતો સ્ટોક ઉપલબ્ધ ન હોવાથી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ છે. આ જ પરિસ્થિતિ ભુજ અને માંડવીમાં પણ જોવા મળી રહી છે, જ્યાં ગ્રાહકોને કલાકો સુધી રાહ જોઈ રહ્યા છે. સૌથી મોટી સમસ્યા ‘પેનિક બુકિંગ’ની છે. ગેસની અછત સર્જાશે તેવી આશંકાએ જેમને તાત્કાલિક જરૂર નથી તેવા ગ્રાહકો પણ રિફિલિંગ માટે દોડી રહ્યા છે. સામાન્ય દિવસોમાં થતા બુકિંગ કરતા અત્યારે બુકિંગનો આંકડો અચાનક વધી જતા એજન્સીઓ પર દબાણ વધ્યું છે. તંત્ર દ્વારા નાગરિકોને ગભરાટમાં આવીને બિનજરૂરી બુકિંગ ન કરવા અપીલ કરવામાં આવી છે. હાલ આ યુદ્ધની પરિસ્થિતિમાં ગામ અને શહેરના દરેક ચોકમાં માત્ર ગેસના બોટલની જ ચર્ચા થઇ રહી છે. કોને મળશે અને ક્યારે મળશે તેવી જ વાતો થઇ રહી છે. કેન્દ્રથી લઈને સ્થાનિક સુધી ગેસ એજન્સીના ફોન બંધહાલ સર્જાયેલી ગેસની અછત સમયે લોકો ગભરાહટમાં બુકિંગ કરી રહ્યા છે. જો કે કેન્દ્ર સરકારથી લઈને સ્થાનિક એજન્સીઓ સુધી તમામે ફોન નંબર બંધ કરી દીધા છે. ભાસ્કરે રીયાલીટી ચેક માટે ભુજની 5 ગેસ એજન્સીઓની સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પણ બે એજન્સીનો ફોન બંધ આવ્યો હતો, જયારે ૩ એજન્સીના સંચાલકોએ ફોન રીસીવ કર્યા જ ન હતા. માત્ર નખત્રાણાની ગેસ એજન્સીનો ફોન ઉપડ્યો હતો, અને જણાવ્યું હતું કે બુકિંગ બાદ ૩ દિવસે તમને ગેસનો બોટલ મળી જશે. ભુજ અને ખાવડામાંથી સંગ્રહખોરી થતા 26 બોટલ જપ્ત એક તરફ મધ્ય પૂર્વના દેશોમાં ફાટી નીકળેલા યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસ સપ્લાયમાં મુશ્કેલીઓ સર્જાઈ છે, ત્યારે બીજી તરફ કચ્છના સરહદી વિસ્તારોમાં સ્થિતિનો ગેરલાભ ઉઠાવી કાળાબજારી કરનારા તત્વો સક્રિય થયા છે. જેના ભાગરૂપે ભુજ શહેર અને ખાવડા વિસ્તારમાં પુરવઠા વિભાગે સપાટો બોલાવી ગેરકાયદે ગેસ સિલિન્ડરનો જથ્થો ઝડપી પાડ્યો છે. જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ દ્વારા બાતમીના આધારે ખાવડાના પ્રમુખસ્વામી નગર ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. અહીં બિપિન દાવડા દ્વારા સંચાલિત ‘સ્વામિનારાયણ ગેસ સર્વિસ સેન્ટર’ નામની દુકાનમાં ગેસ સિલિન્ડરોનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સ્થળ પરથી 19 કિલ્લોના 11 કોમર્શિયલ સિલિન્ડર અને 4 ખાલી બોટલ તેમજ 14.2 કિલોના 7 ઘરેલુ સિલિન્ડર અને 2 ખાલી બોટલ સહીત કુલ રૂા. 1,01,244 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. તો બીજી તરફ ભુજના એરપોર્ટ રોડ પર આવેલી રીયલ પેપરિકા નામની રેસ્ટોરેન્ટમાંથી બે કોમર્શીયલ ગેસના બોટલ જપ્ત કરવામાં આવ્યા હતા. રેસ્ટોરેન્ટમાંથી નિયમ કરતા વધુ ગેસના બોટલ મળી આવ્યા હતા. સરકાર નિયમ મુજબ 100 કિલોથી વધુ સંગ્રહ કરી શકાય નહી. જેથી 3800 રૂપિયાની કિંમતની 2 કોમર્શીયલ બોટલ પુરવઠા વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા.એક તરફ જ્યારે સામાન્ય જનતા ગેસ માટે લાઈનોમાં ઉભી છે, ત્યારે આવા સંગ્રહખોરો કૃત્રિમ અછત ઉભી કરી કાળાબજારી કરવાનું પાપ કરી રહ્યા છે. ગેસ ડીલર અને એજન્સીઓ સાથે તંત્રની બેઠક યોજાઇહાલની પરિસ્થિતિને ધ્યાને લઈ આવશ્યક ચીજવસ્તુ અંતર્ગત LPG પૂરવઠો જિલ્લા સુવ્યવસ્થિત રીતે જળવાય રહે અને જરૂરિયાત પ્રમાણે અછત ન વર્તાય માટે જિલ્લાના તમામ ડિસ્ટ્રેબ્યુટર્સે સાથે જિલ્લા પુરવઠા અધિકારી અર્શ હાશ્મીએ કલેકટર કચેરી ખાતે બેઠક યોજી હતી. જેમાં જિલ્લામાં પરિસ્થિતિ અન્વયે ખોટા સંદેશાઓ, અફવાઓ ન ફેલાય તથા બિન જરૂરી ભયનું વાતાવરણ ઊભું ન થાય તેની ખાસ તકેદારી રાખવા સૂચન કર્યું હતું, અને જિલ્લા ગેસ સંચાલકો બિન જરૂરી સંગ્રહ ખોરી થતા કાળા બજારી ન થાય તેની કાળજી રાખવા સુચના આપવામાં આવી છે. જો કોઈ સંગ્રહખોરી કરશે તો તમની સામે LPG કંટ્રોલ ઓર્ડર 2000 તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955 અને ગેસ સિલિન્ડર રુલ 2016 અન્વયે કાર્યવાહી કરવામાં આવશે. ગુરુવારે ગેસ કંપનીઓમાં થયેલ બુકિંગના આંકડા
ભાસ્કર એક્સક્લુસિવ:કાશ્મીરથી કન્યાકુમારી સુધીના 1,111 ફેરા થાય એટલું ઈંધણ પાલિકાએ વર્ષમાં વાપર્યું
કાશ્મીરથી કન્યાકુમારી સુધીના 1,111 ફેરા થાય એટલું ઈંધણ ભુજ પાલિકાએ એક વર્ષમાં વાપર્યું છે. પેટ્રોલ અને ડીઝલ પર રૂ.1.80 કરોડનો ખર્ચ કરી પ્રજાના પૈસા અને ઇંધણ બંનેનો ધુમાડો પાલિકાએ કર્યો છે. ભુજ પાલિકાની ખાસ સામાન્ય સભામાં હિસાબી વર્ષ પૂરું થતું હોઈ આવતા વર્ષના અંદાજિત આવક ખર્ચ દર્શાવતું અંદાજપત્ર રજૂ કરાયું હતું. જેમાં આગામી નાણાકીય વર્ષ માટે અંદાજિત રૂ. 149 કરોડની આવક સામે રૂ. 148 કરોડ જેટલો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. જેમાં જીવન જરૂરિયાત સમાન દરેક માટે અનિવાર્ય એવા ઈંધણ પર પાલિકા દ્વારા એક વર્ષમાં રૂ.1.80 કરોડ ખર્ચ કરાયાનો ઉલ્લેખ છે. પાલિકા દ્વારા વર્ષ 2023-24માં રૂ.1.33 કરોડ ખર્ચ કરાયા હતા તો ત્યારબાદના વર્ષ 2024-25માં રૂ.13 લાખ ખર્ચના ઘટાડો નોંધાયો હતો અને રૂ.1.20 કરોડ વપરાયા હતા. તો, ત્યારબાદ 2025-26માં રૂ.60 લાખનો વધારો જોવા મળ્યો અને સમગ્ર વર્ષમાં રૂ.1.80 કરોડનો ખર્ચ ઈંધણ પાછળ દર્શાવાયો છે. 56 ચોરસ કિલોમીટર એટલે કે અંદાજે 7.5 કિમી લંબાઈ અને 7.5 કિમી પહોળાઈ વિસ્તાર ધરાવતા ભુજ શહેરમાં પાલિકા દ્વારા વર્ષ દરમિયાન રૂ.1.80 કરોડ વિવિધ વાહનો દ્વારા ઈંધણ પર વાપરવામાં આવ્યા છે. હાલે પેટ્રોલ રૂ.94.80 છે તો ડીઝલ રૂ.90.48 છે. જેને વાર્ષિક સરેરાશ રૂ.90 ગણીએ તો અંદાજે 2 લાખ લિટર પેટ્રોલ અને ડીઝલ વાપરવામાં આવ્યું છે. ફોર વ્હીલર, ટુ વ્હીલર સહિત અન્ય સાધનો દ્વારા વપરાયેલું આ ઈંધણ જો સરેરાશ પ્રતિ લિટર 20ની પણ એવરેજ ગણવામાં આવે તો 40 લાખ કિમી અંતર કાપી શકાય એટલું આ ઈંધણ કહી શકાય. જે કાશ્મીરથી કન્યાકુમારી સુધીના 1111 આંટા માર્યા સમાન છે. જો કાશ્મીરથી કન્યાકુમારી સુધીનું રસ્તા પરથી સફર કરવામાં આવે તો વધુમાં વધુ 3,600 કિમી થાય છે.
મ.સ.યુનિ.ના કોમર્સ ફેકલ્ટીના સાંસ્કૃતિક ઉત્સવ અર્થરંગના ચોથા દિવસે, વિવિધ ક્રિએટિવિટી અને પર્ફોર્મિંગ આર્ટ્સ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં મિમિક્રી, સ્કીટ, પોસ્ટર મેકિંગ, કાર્ટૂન મેકિંગ, પેઇન્ટિંગ અને વેસ્ટર્ન ડાન્સ જેવા કાર્યક્રમો યોજાયા હતા. જે વિદ્યાર્થીઓને તેમની કલાત્મક ક્ષમતાઓ, સર્જનાત્મકતા અને સ્ટેજ હાજરી દર્શાવવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડતા હતા. મિમિક્રી સ્પર્ધામાં જાણીતા વ્યક્તિત્વો અને પાત્રોના અનુકરણો દ્વારા પ્રેક્ષકોનું મનોરંજન કરવામાં આવ્યું હતું. જેમાં નોંધપાત્ર અવાજ મોડ્યુલેશન અને અભિવ્યક્તિઓ દર્શાવવામાં આવી હતી. વિઝ્યુઅલ આર્ટ્સ સેગમેન્ટમાં વિદ્યાર્થીઓએ પોસ્ટર મેકિંગ, કાર્ટૂન મેકિંગ અને પેઇન્ટિંગ સ્પર્ધાઓ દ્વારા રંગો અને ચિત્રો દ્વારા કલાત્મક રજૂ કરી હતી. તે સાથે પશ્ચિમી નૃત્ય સ્પર્ધામાં નૃત્ય નિર્દેશન અને જીવંત પ્રદર્શન આપ્યું હતું
દેણા બ્રિજ પાસે સર્વિસ રોડ પરથી કન્ટેનર અને પીકઅપમાં ભરેલા ડ્રમમાંથી રૂા.23.06 લાખની 4498 દારૂની બોટલો સાથે રૂા.36 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. પોલીસે 4ની ધરપકડ કરી દારૂ મોકલનાર સુનિલ ચૌધરીને વોન્ટેડ જાહેર કર્યો છે. દારૂ વડોદરામાં કોણે મંગાવ્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. હરણી પીઆઈ એસ.વી.વસાવાએ જણાવ્યું કે, 11 માર્ચે બાતમી મળી હતી કે, દેણા બ્રીજથી ગોલ્ડન ચોકડી તરફ સર્વિસ રોડ ઉપર કન્ટેનરમાંથી પીકઅપમાં દારૂનું કટીંગ થઈ રહ્યું છે. પોલીસે ટ્રક અને વડોદરા પાસીંગની પીકઅપમાં ભરેલાં ડ્રમ તપાસતા રૂા.23.06 લાખનો દારૂ મળ્યો હતો. પોલીસે સ્થળ પરથી 4 આરોપીઓની ધરપકડ કરીને કુલ રૂા.36.19 લાખનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. પોલીસે પકડેલાં 4 આરોપીમાં અસીફખાન ઝુબેરખાન (હરીયાણા), હામિદહુસેન દિનમોહમ્મદ (હરીયાણા), અજમલહસન તાહિરહસન પઠાણ (છાણી), અતિકઅહેમદ વકિલઅહેમદ પઠાણ (ગોરવા)નો સમાવેશ થાય છે. ફતેગંજના બૂટલેગર જાવેદ એન્ડ કંપની દ્વારા શહેરમાં વર્ચસ્વ જમાવાયુંએસએમસીએ શહેરના બુટલેગરો સામે ગુજસીટોક સહિત કડક કાર્યવાહી કરી હતી. પરીણામે શહેરમાં દારૂ સપ્લાય કરતી સિંધી ગેંગ વેરવિખેર થઈ હતી. જેનો લાભ ઉઠાવી મુસ્લિમ ગેંગ સક્રિય થઈ છે. જેમાં ઈમરાન દરબાર, ખાલીદ, રિયાઝ, જાવેદ, રાંકો અને કાલુ સહિત બુટલેગરોએ પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે. રેલ્વે દ્વારા દારૂનો જથ્થો શહેરમાં મંગાવતા હતાં. જેના અહેવાલો પ્રસિધ્ધ થતાં રેલ્વેમાંથી દારૂ મંગાવવાનું બંધ થયું છે. જ્યારે ફતેગંજના બુટલેગર જાવેદ એન્ડ કંપનીએ રોડમાર્ગે દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
નમસ્તે, ગઈકાલના મુખ્ય સમાચાર ઈરાન સાથે જોડાયેલા છે, નવા સુપ્રીમ લીડરે કહ્યું કે તેલ માટે હોર્મુઝનો રસ્તો અત્યારે ખુલશે નહીં. જ્યારે બીજા સમાચાર દેશમાં LPG સંકટને લઈને છે, રસોઈ ગેસ સિલિન્ડર બમણા ભાવે વેચવામાં આવી રહ્યો છે.⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. પીએમ નરેન્દ્ર મોદી આસામનો પ્રવાસ કરશે. તેઓ અનેક પરિયોજનાઓનું શુભારંભ અને ઉદ્ઘાટન કરશે. 2. સંસદમાં બજેટ સત્રના બીજા તબક્કાનો પાંચમો દિવસ છે. LPGની અછત અને વધતી કિંમતો પર વિપક્ષ હંગામો કરી શકે છે. કાલના મોટા સમાચારો 1. ઈરાની સુપ્રીમ લીડરે કહ્યું- અમેરિકી બેઝ પર હુમલા ચાલુ રહેશે:પદ સંભાળ્યા બાદ મુજતબાનું પ્રથમ નિવેદન; કહ્યું- હોર્મુઝનો રસ્તો નહીં ખુલે ઈરાનના નવા સુપ્રીમ લીડર અયાતુલ્લા મુજતબા ખામેનીએ પદ સંભાળ્યા બાદ ગુરુવારે પોતાનું પ્રથમ નિવેદન જાહેર કર્યું. આમાં તેમણે અમેરિકાને ચેતવણી આપતા કહ્યું કે તે મિડલ ઈસ્ટમાં હાજર અમેરિકી સૈન્ય અડ્ડાઓને બંધ કરી દે, નહીં તો તેમના પર હુમલા જારી રહેશે. મુજતબાએ અમેરિકા અને ઈઝરાયેલને ચેતવણી આપી છે કે તેમણે ઈરાન પર કરેલા હુમલાની ‘ભરપાઈ’ કરવી પડશે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. ગેસના બાટલાની કાળાબજારી, 900 રૂપિયાના સિલિન્ડરના ₹1800:કોમર્શિયલ સિલિન્ડરના ₹4000, એજન્સી સંચાલકો-દલાલો લોકોને લૂંટી રહ્યાં છે અમેરિકા-ઇઝરાયલના ઇરાન સાથેના યુદ્ધને કારણે દેશભરમાં એલપીજીની અછત વધી રહી છે. ગેસ સિલિન્ડર એજન્સીઓ પર લાંબી કતારો લાગી છે. આ ઉપરાંત ગેસ સિલિન્ડરની કાળાબજારી પણ શરૂ થઈ ગઈ છે. બિહારમાં ઘરેલુ ગેસ સિલિન્ડર 1800 રૂપિયા સુધી વસૂલવામાં આવી રહ્યા છે. જ્યારે મધ્યપ્રદેશમાં કોમર્શિયલ સિલિન્ડર બ્લેકમાં 4000 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. એટલું જ નહીં, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના સપ્લાય પર પ્રતિબંધને કારણે હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં ઇન્ડક્શન પર રસોઈ બનાવવાનું શરૂ કરી દેવાયું છે. 3. હાર્દિક પંડ્યા જોશમાં હોશ ખોઈ બેઠો:વર્લ્ડકપ જીતની ઉજવણી દરમિયાન તિરંગાના અપમાનની ફરિયાદ નોંધાઈ, ગર્લફ્રેન્ડ સાથે સ્ટેજ પર સૂઈ ગયો હતો ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા વિરુદ્ધ તિરંગાના અપમાનને લઈને ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ બેંગલુરુના શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં પુણેના વકીલ વાજીદ ખાન બિડકરે કરી છે. ભારતની T20 વર્લ્ડકપ જીત બાદ અમદાવાદમાં ઉજવણી દરમિયાન પંડ્યા પર તિરંગાનું સન્માન ન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ફરિયાદી અનુસાર, ટીમ ઈન્ડિયાની જીત બાદ મેદાન પર ઉજવણી કરતા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. એક વીડિયોમાં પંડ્યા પોતાના ખભા પર તિરંગો ઓઢીને મેદાન પર નાચતા અને દોડતા જોવા મળી રહ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો 4. ટ્રમ્પ ભારતના મિત્ર છે કે દુશ્મન?:ફરી ભારે ટેરિફ લગાવવાની તૈયારી, 'સેક્શન 301'ને બનાવ્યું હથિયાર; ભારત સહિત 16 દેશ સામે તપાસ શરૂ કરી અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને ભારત અને ચીન સહિત તેના 16 મુખ્ય ટ્રેડિંગ પાર્ટનર્સ વિરુદ્ધ 'સેક્શન 301' હેઠળ નવી તપાસ શરૂ કરી છે. 'સેક્શન 301' અમેરિકાને એવા દેશો પર એકતરફી ટેક્સ વધારવાની શક્તિ આપે છે, જે તેની કંપનીઓને નુકસાન પહોંચાડી રહ્યા હોય. ગયા મહિને અમેરિકી સુપ્રીમ કોર્ટ દ્વારા રાષ્ટ્રપતિ ટ્રમ્પના ટેરિફને ગેરકાયદેસર ઠેરવ્યા બાદ, પ્રશાસન હવે નવા કાનૂની રસ્તાઓથી ટેરિફનું દબાણ પાછું બનાવવાની તૈયારીમાં છે. સંપૂર્ણ સમાચાર વાંચો 5. JKના પૂર્વ CM ફારુક અબ્દુલ્લા પર ફાયરિંગ, VIDEO: સુરક્ષા જવાનોએ તેમને બચાવ્યા, હુમલાખોરે કહ્યું- 20 વર્ષથી તેમને મારવા માંગતો હતો નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ અને જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા પર બુધવારે રાત્રે એક વ્યક્તિએ ફાયરિંગ કર્યુ. સદનસીબે, તેમને ગોળી વાગી નહીં. અધિકારીઓના જણાવ્યા મુજબ, ફારુક જમ્મુમાં એક લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા હતા. તેમની સાથે રાજ્યના નાયબ મુખ્યમંત્રી સુરિન્દર ચૌધરી પણ હતા. ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. તેમાં દેખાય છે કે 70 વર્ષીય હુમલાખોર કમલ સિંહ જામવાલ પાછળથી આવીને ફારુકના માથા પર રિવોલ્વર તાકી રહ્યો છે. સુરક્ષા જવાનોએ તાત્કાલિક હુમલાખોરનો હાથ હટાવ્યો, જેના કારણે હવામાં ફાયરિંગ થયું. સંપૂર્ણ સમાચાર વાંચો 6. વડોદરામાં ધોમધખતા તાપમાં ગેસ સિલિન્ડર માટે લાંબી કતારો:સુરતમાં ફરસાણના વેપારીઓનો ધંધો ચોપટ થવાને આરે; તંત્રનો પૂરતા સ્ટોકનો દાવો ઘરેલું ગેસ માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હજુ પણ લાંબી કતારો જોવા મળી રહી છે. વડોદરામાં આજે સતત બીજા દિવસે ગેસ એજન્સીની બહાર ગેસ લેવા માટે કતાર જોવા મળી હતી. વહીવટી તંત્ર દ્વારા પૂરતો જથ્થો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, ત્યારે ગેસ સિલિન્ડર મેળવવા માટે લોકો લાંબી લાઇનો લગાવી રહ્યા છે. તો બીજી તરફ ખાણીપીણી માટે જાણીતા સુરતમાં હાલ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે. છેલ્લા 4 દિવસથી ચાલતી તંગીને કારણે હજારો ફરસાણના વેપારીઓનો ધંધો ચોપટ થવાની આરે આવી ગયો છે. ગેસના અભાવે અનેક દુકાનોના ચૂલા ઠરી જવાની ભીતિ સેવાતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ગાંજો વેચવા ગિફ્ટ સિટીમાં લક્ઝુરિયસ ફ્લેટ ભાડે લીધો:રાજકોટનો યુવાન રોજનું 3,000 ભાડું ચુકવતો; 26 લાખનો ગાંજો, બે આઇફોન, ઇલેક્ટ્રિક વજન કાંટો જપ્ત ગાંધીનગર ગિફ્ટ સિટીમાં શરતોને આધિન દારૂ પીવાની રાજ્ય સરકારે છૂટછાટ આપ્યા પછી ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. એવામાં ગઈકાલે(11 માર્ચ) ગિફ્ટ સિટીના શોભા ડ્રીમ હાઈટ્સ ટાવરના 23મા માળે ત્રાટકીને ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આશરે 26.11 લાખ રૂપિયાથી વધુ કિંમતનો નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ મામલે પોલીસે 25 વર્ષીય અંકિત રાજેશભાઈ કક્કડ(મૂળ રહે. દ્વારકા હાઇટ્સ, માધાપર ચોકડી પાસે, રાજકોટ, મૂળ વતની મોરબી) ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : આદિ કૈલાસ યાત્રા 1 મેથી શરૂ કરવાની તૈયારી:એપ્રિલના છેલ્લા અઠવાડિયાથી પરમિટ મળશે; ગયા વર્ષે 30 હજારથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : રિપોર્ટ- ઈરાનમાં હજુ સરકાર પાડી નહીં શકે અમેરિકા:વર્તમાન લીડરશિપનો જનતા પર સંપૂર્ણ નિયંત્રણ; ટ્રમ્પ ટૂંક સમયમાં ઓપરેશન બંધ કરી શકે છે વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ગેસના બાટલાની કાળાબજારી, 900 રૂપિયાના સિલિન્ડરના ₹1800:કોમર્શિયલ સિલિન્ડરના ₹4000, એજન્સી સંચાલકો-દલાલો લોકોને લૂંટી રહ્યાં છે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ટ્રમ્પ પાસે યુદ્ધ સમાપ્ત કરવાનો કોઈ પ્લાન નથી:ઈરાનની તાકાતનો ખોટો અંદાજ લગાવ્યો, ઓઈલ સપ્લાય ઠપ થશે એવું વિચાર્યું નહોતું વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : હવે નાના બાળકો પણ વાપરી શકશે વોટ્સએપ:મેટાએ પેરેન્ટ-મેનેજ્ડ મોડેલ રજૂ કર્યું; 13 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે હશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : BCCI ગિલને ક્રિકેટર ઑફ ધ યર એવોર્ડ આપશે:દ્રવિડને લાઇફટાઇમ અચીવમેન્ટ પુરસ્કાર મળશે; U-19 વર્લ્ડકપ જીતાડનાર મ્હાત્રે પણ સન્માનિત થશે વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ગુરુની રાજાને શીખ:જ્યાં સુધી આપણે આપણા ગુરુનું મનથી સન્માન નહીં કરીએ, ત્યાં સુધી આપણને જ્ઞાનનો પૂરો લાભ મળી શકશે નહીં વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ યુદ્ધમાં ઈઝરાયલની ‘બોમ્બ શેલ્ટર ડેટિંગ’ એપ ઈરાન સાથેના જંગ વચ્ચે ઈઝરાયલમાં એક એપ ચર્ચામાં છે. મિસાઈલ સાયરન વાગતા જ લોકો શેલ્ટરમાં છુપાઈ જાય છે અને અવારનવાર કંટાળી જાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આ એપ બનાવવામાં આવી છે, જેથી શેલ્ટરમાં હાજર સિંગલ લોકો આસપાસના સિંગલ્સ સાથે કનેક્ટ કરી શકે. જોકે, આને પ્રમોટ કરવા બદલ સરકારની ટીકા પણ થઈ રહી છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : 100, 200, 500… માગો એટલી નકલી નોટની એજન્ટે આપી ગેરંટી: 1 લાખ અસલી સામે 10 લાખની રેલવે સ્ટેશને ડિલિવરી, કહ્યું- ગુજરાતથી ઘણા લેવા આવે છે 2. એક્સક્લૂસિવ: ભારતની સ્માર્ટ ડીલ, શાહબાઝ સરકારનો મેન્ટલ ટ્રોમા:પાકિસ્તાનમાં 'પેટ્રોલ બોમ્બ'થી જનતામાં રોષ, PAK પત્રકારે કહ્યું IMFમાંથી બહાર પણ થઇ શકે 3. પારકી પંચાત : ‘ગૃહ ખાવા માટે નથી’ શંકર ચૌધરી આકરા થયા:વિધાનસભામાં ધારાસભ્યોને ટોક્યા; રાજકોટમાં ગાંધીનગરથી નેતા આવ્યા, ફોટો પડાવ્યો ને ટોણો માર્યો 4. ભાસ્કર એક્સપ્લેનર : ભારત પાસે કેટલા દિવસનો LPG સ્ટોક બાકી છે:જો યુદ્ધ લાંબુ ખેંચાય તો સરકાર ક્યાંથી લાવશે રસોઈ ગેસ; તમારે શું કરવું જોઈએ 5. બ્લેકબોર્ડ: તેમને રિસર્ચ માટે લોહી જોઈએ છે, અમને રૂપિયા:પોતાના પર દવાઓનો ટ્રાયલ કરાવી છીએ, મોતની ઈચ્છા રાખીએ છીએ; બાળકોને 25 લાખ તો મળશે 6. RSS સંપૂર્ણપણે બદલાવા જઈ રહ્યું છે:પ્રદેશ પ્રચારક પદ સમાપ્ત થશે, યુપી ચૂંટણીમાં પહેલો ટેસ્ટ; જાણો કેવું હશે નવું સ્ટ્રક્ચર કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ: ધન રાશિને દરેક ડગલે નસીબનો સાથ મળશે, તુલા જાતકોની યોગ્યતાની ચોમેર પ્રશંસા થશે (સંપૂર્ણ સમાચાર વાંચો)
વડોદરા રાજપૂત યુવા એસોસિએશન દ્વારા દર વર્ષની માફક સમસ્ત રાજપૂત સમાજનો 18મો સમૂહ લગ્નોત્સવ ઉજવાયો હતો. ગીતા-કિશન સોશિયલ વેલ્ફેર ટ્રસ્ટ, ભરૂચના સૌજન્યથી મકરપુરા ખાતે રાજપૂત સાંસ્કૃતિક ભવનમાં ધામધૂમથી લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં 12 યુવક-યુવતીઓએ પ્રભુતામાં પગલા પડ્યાં હતા. નવદંપત્તીએ છુટાછેડા ન લેવાનું વચન આપ્યું હતું. કાર્યક્રમમાં પધારેલા કાયાવરોહણ લકુલીશ ધામના પ્રિતમમુનીજીએ સરળ લગ્નજીવનના આશિર્વાદ આપ્યા હતા. 12 નવ દંપત્તિને કન્યાદાનમા ફ્રિજ, તિજોરી, ડબલ બેડ, ડ્રેસિંગટેબલ, સોફાસેટ, ટીપોઈ, સ્ટીલનો ડિનર સેટ, રસોડા સેટ, બાથરૂમ સેટ, મિક્સર ગ્રાઈન્ડર, ઇસ્ત્રી, ખુરશીઓ, વોટર કુલર જેવી અનેક જરૂરી ચીજ-વસ્તુઓ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ કમલેશસિંહ રાઉલજી, ઉપપ્રમુખ જીતેન્દ્રસિંહ રાઠોડ, મહામંત્રી કિરણસિંહ રાઠોડ, પૂર્વ પ્રમુખ નરેશસિંહ ઝાલા સહિત આગેવાનોએ હાજર રહી આશીર્વાદ આપ્યા હતા. સમૂહ લગ્ન ઉત્સવમાં ભરૂચ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરાના નવદંપત્તિ અને તેઓના સંબંધીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ વહેલી સવારે 8 કલાકે શરૂ થયો હતો અને સાંજે 5 કલાકે કન્યા વિદાય કરાઇ હતી. સનાતન ધર્મમાં આસ્થા રહે તે માટે હનુમાન ચાલીસા અપાયારાજપુત સમાજની મહિલા પાંખ દ્વારા પણ કાર્યક્રમમાં મહત્ત્વપૂર્ણ યોગદાન અપાયું હતું. મહિલા સંગઠને કેટલીક વસ્તુઓ નવદંપત્તીને ભેટ આપી હતી. સાથે સનાતન ધર્મમાં આસ્થા રહે તે માટે દરેકને હનુમાન ચાલીસા પણ ભેટમાં આપવામાં આવી હતી. પરિવારોએ 1.20 કરોડ બચ્યા હોવાનું કહી આભાર માન્યોસમૂહ લગ્નમાં એકપણ રૂપિયો લીધા વગર લગ્ન કરાવવામાં આવ્યા હતા. જે અંગે રાજપુત સમાજ સમક્ષ 12 વર-કન્યાના 24 પરિવાઓએ સ્વીકાર્યું હતુ કે, પરિવાર દીઠ અંદાજે રૂ.5 લાખનો ખર્ચ થતો હતો, જેની મોઘવારીમાં બચત થઇ છે. પરિવારોએ સમાજનો આભાર માન્યો હતો.
મોરિશિયસ ડે ઊજવાયો:આફ્રિકા ક્ષેત્રમાં વેપાર-રોકાણ માટે મોરિશિયસ મહત્ત્વપૂર્ણ પ્રવેશદ્વાર
ઇન્ડિયન કોમન વેલ્થ ટ્રેડ કાઉન્સિલ-ગુજરાત દ્વારા આજે મોરિશિયસ ડે નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. ભારત અને મોરિશિયસ વચ્ચે વેપાર, ઉદ્યોગ, રોકાણ અને સહકારના નવા અવસરો પર ચર્ચા કરવામાં આવી હતી. કાઉન્સિલે જાહેરાત કરી કે, નજીકના સમયમાં ગુજરાતના ઉદ્યોગકારો અને વ્યવસાયિકોનું વિશેષ બિઝનેસ ડેલિગેશન મોરિશિયસની મુલાકાત લેશે. જેનો મુખ્ય હેતુ બંને દેશો વચ્ચે વ્યાપારિક સંબંધ વધુ મજબૂત બનાવવા, રોકાણના અવસરો શોધવા અને એમએસએમઇ ક્ષેત્રમાં સહકાર વધારવાનો રહેશે. યુદ્ધના માહોલમાં મોરિશિયસ-આફ્રિકા રૂટ સરળ અને ઉપયોગી થશે. કાઉન્સિલના ચેરમેન વિરલ ચૌધરીએ કહ્યું કે, આવા કાર્યક્રમો અને બિઝનેસ ડેલિગેશન્સ દ્વારા બંને દેશોના ઉદ્યોગકારોને પરસ્પર સહકાર, ટેક્નોલોજી વિનિમય અને નવાં બજારોમાં પ્રવેશ માટે તક મળશે. ગુજરાતના પર્યટનને પણ પ્રોત્સાહન અપાશેઇન્ડિયન કોમન વેલ્થ કાઉન્સિલ દ્વારા મોરિશિયસની આવનારી બિઝનેસ મુલાકાતમાં ગુજરાતના પર્યટનને પ્રોત્સાહન આપવા પહેલ થશે. મુલાકાતમાં મોરિશિયસના ઉદ્યોગકારો, પ્રવાસન ક્ષેત્રના પ્રતિનિધિ, રોકાણકારો સમક્ષ ગુજરાતનાં પર્યટન સ્થળો, સંસ્કૃતિ, હેરિટેજ, ધાર્મિક પર્યટન, ઇકો-ટુરિઝમના અવસર રજૂ કરાશે. ભારતની વસ્તી 35 દેશ જેટલી, MSMEનું વિશેષ મહત્ત્વભારતની વસ્તી 140 કરોડની છે, જે 35 દેશની વસ્તી સમાન છે. ભારત સોને કી ચીડિયા સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે ભારતના લઘુ અને ગૃહ ઉદ્યોગોને પગલે હતું. આજે પણ એટલું મહત્ત્વનું છે.
સયાજીરાવ ગાયકવાડ મેમોરિયલ નેશનલ સાયન્સ કોન્ફરન્સમાં વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા. બેંગલુરુના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના ડિરેક્ટર પ્રો. ગોવિંદન રંગરાજનએ જણાવ્યું હતું કે એઆઇ કરતાં હ્યુમન ઇન્ટલીજન્સ વધારે પાવર ફૂલ છે. સાયન્સ ફેકલ્ટીના તમામ વિભાગોમાં રીસર્ચરે વૈજ્ઞાનિકોના લેકચર યોજાયા હતા. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી દ્વારા આયોજિત સયાજીરાવ ગાયકવાડ મેમોરિયલ નેશનલ સાયન્સ કોન્ફરન્સ-20226નું યુનિવર્સિટી કેમ્પસના પ્રો. સી. સી. મહેતા ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું. બે દિવસીય રાષ્ટ્રીય પરિષદ સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે અને શિક્ષણ, વિજ્ઞાન અને સામાજિક પ્રગતિમાં તેમના દૂરંદેશી યોગદાનની ઉજવણી કરે છે. કન્વીનર પ્રો. કે. મુરલીધરને સમકાલીન વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં વૈજ્ઞાનિક નવીનતા અને આંતરશાખાકીય સહયોગના મહત્વ પર પ્રકાશ પાડયો હતો. મુખ્ય વક્તા બેંગલુરુના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના ડિરેક્ટર પ્રો. ગોવિંદન રંગરાજન દ્વારા આપવામાં આવ્યું હતું, જેમણે વૈજ્ઞાનિક અને શૈક્ષણિક ક્ષેત્રોમાં એઆઇના વધતા પ્રભાવ વિશે વાત કરી હતી. તેમણે એઆઇ યુગમાં સુસંગત રહેવા માટે મૌલિકતા અને વિવેચનાત્મક વિચારસરણી જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો, શૈક્ષણિક વહીવટકર્તાઓને શિક્ષણના ક્ષેત્રમાં એઆઇ પર પડકારો અને તકોને અસરકારક રીતે રજૂ કરવા વિશે જણાવ્યું હતું. યુનિવર્સિટીના વીસી ભાલચંદ્ર ભાણગએ સયાજીરાવ ગાયકવાડ દ્વારા શરૂ કરાયેલા સ્વપ્નદ્રષ્ટા શૈક્ષણિક સુધારાઓ પર પ્રકાશ પાડ્યો હતો અને વૈજ્ઞાનિક સ્વભાવ, નવીનતા અને સંશોધન શ્રેષ્ઠતાને પોષવામાં યુનિવર્સિટીઓની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. ચાન્સેલર રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડે સર સયાજીરાવ ગાયકવાડના પ્રગતિશીલ વારસા પર પ્રતિબિંબ પાડ્યું હતું અને યુવા સંશોધકો અને વિદ્યાર્થીઓને સામાજિક વિકાસ માટે સમર્પણ અને પ્રતિબદ્ધતા સાથે વિજ્ઞાનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. યુનિ.ને રિસર્ચમાં આગળ લાવવા નેશનલ સાયન્સ કોન્ફરન્સ શરૂ થઇમ.સ.યુનિવર્સિટીને રીસર્ચ ક્ષેત્રે આગળ લાવવા માટે નેશનલ સાયન્સ કોન્ફરન્સની શરૂઆત કરવામાં આવી છે. ગત વર્ષે સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની જન્મજયંતિ નિમિત્તે આની શરૂઆત કરવામાં આવી હતી. દર વર્ષે દેશભરમાંથી ખ્યાતનામ વૈજ્ઞાનિકને આમંત્રિત કરીને રીસર્ચરોને આગળ વધારવા માટે પ્રોત્સાહીત કરવા માટે કોન્ફરન્સની શરૂઆત કરવામાં આવી છે. સાયન્સ કોન્ફરન્સમાં દેશભરના 550થી વધુ પ્રતિનિધિએ ભાગ લીધોસયાજીરાવ ગાયકવાડ મેમોરિયલ નેશનલ સાયન્સ કોન્ફરન્સમાં 550 થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો છે. જેમાં દેશભરની સંસ્થાઓના શિક્ષણવિદો, સંશોધકો અને વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ પરિષદ વૈજ્ઞાનિક આદાનપ્રદાન અને આંતરશાખાકીય સંવાદ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે
ઠગાઈનો મામલો આવ્યો સામે:મહિલા સહિત ત્રણે સોનાના કહી નકલી મણકા આપી 7 લાખ ઠગ્યા
માંડવીના વેપારીને સોનાના નકલી મણકા પધરાવી રૂા.7 લાખ પડાવનાર મહિલા સહિત ત્રણ વિરૂધ્ધ મકરપુરા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. માંડવી વિસ્તારમાં દુપટ્ટાનો વેપાર કરતા 52 વર્ષિય મહેન્દ્રકુમાર રામચંદ્ર ગુપ્તાની દુકાને નવેમ્બર-2025માં એક અજાણ્યો શખ્સ અને મહિલા આવીને દુપટ્ટાની ખરીદી કરીને દુકાનનું વિઝિટિંગ કાર્ડ લઈ ગયા હતા. બાદમાં 25 ડિસેમ્બરે 2025ના રોજ શંકર પ્રજાપતિ નામનો શખ્સ દુકાને આવ્યો અને વેપારીના દીકરાને સોનાના બે મણકા આપીને તેને વેચવાની વાત કરી હતી ત્યારબાદ ઠગે વેપારીને વધુ સોનું આપવાની લાલચ આપી તરસાલી સ્વામિનારાયણ મંદિર પાસે બોલાવ્યા હતા. જ્યાં શંકર પ્રજાપતિ સાથે 60 વર્ષનો વૃધ્ધ અને 50 વર્ષની મહિલા પણ હતી. મંદિરમાં પ્રસાદ અને નાળિયેર ચઢાવીને પૂજાપાઠનો ઢોંગ કરી, બીજા 4 મણકા ચેક કરવા આપી વિશ્વાસ કેળવ્યો હતો. અંતે તરસાલી શાકમાર્કેટ પાસે શંકર પ્રજાપતિ અને તેના સાગરીતોએ સોનાના મણકાની આખી થેલી રૂ. 7 લાખ રોકડા લઈને વેપારીને પકડાવી દીધી હતી. વેપારીએ સોની પાસે તપાસ કરતા ખબર પડી કે 6 મણકા જ સોનાના હતાં. જ્યારે બાકીના મણકા અન્ય ધાતુના હતા. આ અંગે વેપારીએ મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
નવી પહેલ:ધો.9થી 12ના વિદ્યાર્થીઓ માટે સાયબર સલામતીના અભ્યાસક્રમની શરૂઆત થશે
વિદ્યાર્થીઓમાં સાયબર સલામતી અને સુરક્ષા અંગે જાગૃતિ વિષયક અભ્યાસ હાથ ધરાશે. ધો.9થી12ના વિદ્યાર્થીનો સાયબર સલામતીના કોર્સમાં સમાવેશ થશે. વિદ્યાર્થીઓને લિંક-કયુઆર કોડ આપીને સર્વે કરાશે. એનઇપીનો ઉદ્દેશ્ય ડિજિટલ માળખું મજબૂત બનાવવા અને શિક્ષણ પ્રક્રિયાઓમાં ટેકનોલોજીને એકીકૃત કરવાનો છે. જેનાથી શિક્ષણમાં ચાલી રહેલા ડિજિટલ પરિવર્તનને ટેકો મળશે. શિક્ષણ મંત્રાલયે જાહેર કરેલા નિર્દેશમાં જણાવ્યું છે કે વિદ્યાર્થીઓ, સગીર હોવાને કારણે, ટેકનોલોજીના ઉપયોગમાં અત્યંત સલામતીની જરૂર છે. ઇન્ટરનેટ ઍક્સેસ તેમને હિંસક અને અપમાનજનક વર્તનનો ભોગ બનાવી શકે છે. તેથી આ ચિંતાઓને દૂર કરવા માટે, જાગૃતિ પહેલ અને અસરકારક સુરક્ષા પગલાં દ્વારા સાયબર સલામતીને પ્રાથમિકતા આપવી જરૂરી છે. શિક્ષણ મંત્રાલયે શાળાના અભ્યાસક્રમમાં સાયબર સલામતી અને સુરક્ષાને એકીકૃત કરવા માટેની માર્ગદર્શિકા પણ શેર કરી છે. ઓનલાઈન ગૂગલ ફોર્મ દ્વારા માહિતી એકત્રિત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેથી તમામ જિલ્લાઓને વિનંતી કરવામાં આવે છે કે આપના જિલ્લાના તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ધોરણ 9 થી 12 સુધી સૂચનાઓ આપવામાં આવી છે.
ગંદા પાણીની ફરિયાદ ઉઠી:ફરામજી ચાલમાં ગંદું પાણી આવતાં 6 માસથી રહીશો કચરો ઠારી ઉપરનું પાણી પીવા મજબૂર
આકરા ઉનાળાની શરૂઆતથી જ શહેરમાં પાણીની પળોજણ શરૂ થઈ છે. સયાજીગંજ ફરામજી ચાલીમાં ગંદા પાણીની ફરિયાદ ઉઠી છે. રહીશોનું કહેવું છે કે, કચરો ઠરી ગયા બાદ ઉપરનું પાણી પીવા મજબૂર થયાં છીએ. જ્યારે વાઘોડિયા રોડની સાહિત્ય ગ્રીનમાં 2 વર્ષથી પાણી ન આવતું હોવાની ફરિયાદ સાથે લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ફરામજી ચાલીમાં 6 મહિનાથી પાણી ગંદુ આવે છે. જેથી લોકો બીમાર પડી રહ્યા છે. મહિલાઓનું કહેવું છે કે, ગંદા પાણીના કારણે બાળકો માંદા પડે છે. પેટમાં ચૂકવવાની ફરિયાદો થઈ રહી છે. વોર્ડ કચેરી અને કોર્પોરેશનમાં અનેક વખત રજૂઆત કરી છે પરંતુ નિરાકરણ આવતું નથી. પાણીનો કચરો ઠરી જતા બનેલા પાણીનો પીવા તરીકે ઉપયોગ કરીએ છીએ. વાઘોડિયા રોડ પર હાઇવે નજીક સાહિત્ય ગ્રીન ફ્લેટમાં બે વર્ષથી પાણી નહીં મળતું હોવાની ફરિયાદ સાથે રહીશોએ એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. રહીશોનું કહેવું હતું કે, બિલ્ડરે પાણીની લાઈન નાખી છે પરંતુ હાલમાં તેના નાણા ભર્યાની રસીદ કોર્પોરેશને આપી છે. બોરમાંથી આવતું પાણી 6000 ટીડીએસનું છે. અને કોર્પોરેટર દ્વારા ટેન્કરથી પાણી અપાતું હતું પરંતુ હવે તે પણ બંધ થયું છે. જેથી આગામી સમયમાં આવનારી ચૂંટણીમાં વોટિંગ નહીં કરી બહિષ્કાર કરીશું. 3 માસથી પાણીની લાઈન લીકેજ, અધિકારીઓને સસ્પેન્ડ કરવા ફરિયાદ કરતા સમારકામ શરૂ કરાયુંવોર્ડ-1ના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ જણાવ્યું કે, ફતેગંજ પોલીસ મથકની બાજુમાં પ્રાર્થના ફ્લેટ પાસે ત્રણ મહિનાથી પાણીની લાઈનમાં લીકેજ હતું. આમ તો, કેબલ નાખવાની કંપની અનેક રોડ તોડે છે અને કોઈ કાર્યવાહી થતી નથી, પરંતુ પાણી લાઈનના સમારકામ માટે રોડ ખોદતા ન હતા. જેથી અધિકારીઓને સસ્પેન્ડ કરવાની ફરિયાદ કરતા તંત્ર દોડતું થયું છે અને લાઈનમાં પડેલા ભંગાણનું સમારકામ શરૂ કર્યું છે.
સિલિન્ડરના સંકટની અસર:ગેસ લાઇનની માગમાં ત્રણ ગણો વધારો, રોજની 9ને બદલે હવે 30 અરજી
ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધની અસર ઘરગથ્થુ ગેસ પર પડી છે. ગેસના બોટલની તંગીની ભીતિથી લોકોએ લાંબી લાઈનો લગાવી રહ્યા છે. બોટલ મળતાં લોકો ગેસ લાઇન નખાવવા દોડધામ કરી છે. જેમાં 1 સપ્તાહમાં ગેસ લાઈનની માગ ત્રણ ગણી વધી છે. ગેસ કંપનીનાં સૂત્રો મુજબ 26 ફેબ્રુઆરીથી 4 માર્ચ દરમિયાન ઘરગથ્થુ ગેસ માટે રોજ 9થી 12 અરજી આવતી હતી. જોકે યુદ્ધની સ્થિતિમાં 25થી 30 અરજી મળી રહી છે. કોમર્શિયલ ગેસના બોટલ મળવાના બંધ થયા હોવાથી અનેક મેન્યુફેક્ચરિંગ એકમો-રેસ્ટોરન્ટો બંધ થવાની તૈયારીમાં છે. ત્યારે એક અઠવાડિયામાં કોમર્શિયલ ગેસ જોડાણ માટે 21 વેપારીએ પૂછપરછ કરી છે. એક સપ્તાહ પહેલાં માત્ર 6 વેપારીઓએ પૃચ્છા કરી હતી. ગેસ સંકટની અસર શહેરની આસપાસ ઔદ્યોગિક વસાહતો પણ પડી છે. જેમાં અઠવાડિયામાં 3 ઇન્કવાયરી આવતી હતી, જે વધીને 10 પર પહોંચી છે. ખાનગી યુનિ.ની હોસ્ટેલમાં ગેસની અછત, 25 હજાર વિદ્યાર્થી પરેશાન સિલિન્ડર લેવા સતત બીજા દિવસ કતારો, ભારત ગેસ એજન્સીની બહાર લાઇનમાં ઊભેલી મહિલા ઢળી પડી એજન્સીઓમાં બીજા દિવસે બોટલ લેવા કતારો લાગી હતી. કેટલીક એજન્સી દ્વારા ઓનલાઈન બુકિંગ ન કરાતું હોવાની ફરિયાદો ઊઠી છે. તંત્રના જણાવ્યા મુજબ લોકો પેનિકમાં આવી સિલિન્ડર લેવા એજન્સી પર પહોંચી રહ્યા છે. જોકે લોકોએ ઓનલાઈન બુકિંગ કરાવવું જોઈએ. સામાન્ય દિવસોમાં રોજ 8 હજાર બુકિંગ આવે છે, તેની સામે પ્રતિદિન ત્રણેય કંપની દ્વારા 14,700 બોટલ રિફીલ કરાય છે. બજારમાં ખોટી માહિતી ફેલાવાથી બુકિંગ વધી 12 હજાર થયું છે. બીજી તરફ મ.સ. યુનિ.ની હોસ્ટેલોમાં પાઇપથી ગેસનો સપ્લાય કરાય છે. જેથી હાલ અસર જોવા મળી રહી છે. જોકે શહેર નજીકની ખાનગી યુનિ.માં ગેસની અછતથી વિદ્યાર્થીઓને ભારે પરેશાની ભોગવવાનો વારો આવી રહ્યો છે. ખાનગી યુનિવર્સિટીમાં 25 હજારથી વધુ વિદ્યાર્થીઓ મેસ તથા કેન્ટીનના ભરોસે છે. પાણીગેટની એજન્સી બહાર ઢળી પડેલી મહિલાને હોસ્પિટલમાં ખસેડાઈ ગેસ એજન્સીઓ બહાર સિલિન્ડર માટે લાઈનો પડી રહી છે. લોકો સિલિન્ડર નોંધાવવા અને લેવા પડાપડી કરી રહ્યા છે. ગુરુવારે પાણીગેટની ભારત ગેસ એજન્સીમાં સિલિન્ડર લેવા લાઈનમાં ઊભેલી મહિલા ઢળી પડી હતી, જેને લોકોએ હોસ્પિટલમાં ખસેડી હતી. લોકોએ ઇન્ડક્શન અને ચૂલાની પણ વ્યવસ્થા કરીયુદ્ધ વચ્ચે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત સર્જાઈ છે. જોકે લોકોને ઘરેલુ સિલિન્ડર પણ નહીં મળે તેવી ચિંતા છે. તેવામાં લોકોએ ઈલેક્ટ્રિક સગડી તેમજ ઈન્ડક્શનની ખરીદી પણ રાખી છે. ઉપરાંત ચૂલાની સગવડ કરી રાખી છે. જેના માટે ચાર દરવાજા વિસ્તારમાંથી લોખંડના ચૂલાની ખરીદી પણ લોકો કરી રહ્યા છે. સિલિન્ડરોનાં કાળાં બજાર ન થાય તેનું ધ્યાન રખાય છેવડોદરા શહેરમાં 6 ઝોનલ અને પુરવઠા વિભાગની ટીમ તેમજ તાલુકા લેવલે 2-2 મામલતદારોની ટીમ કામે લાગી છે. જેમાં સિલિન્ડરમાં કાળાબજાર ન થાય તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જ્યારે એજન્સીઓ સાથે પણ સંકલન રાખવામાં આવી રહ્યું છે. — ગીતા દેસાઈ, પુરવઠા અધિકારી સિલિન્ડરનું મોનિટરિંગબરોડા મેડિકલ કોલેજ અને ગોત્રી જીએમઈઆરએસની હોસ્ટેલમાં ગુરુવારે સિલિન્ડરને લઈ મોનિટરિંગ થઇ રહ્યું છે. બરોડા મેડિકલ કોલેજમાં ભીતિ સર્જાઈ હતી કે, ટૂંક સમયમાં હોસ્ટેલમાં સિલિન્ડર ખૂટી પડશે. મેસ સંચાલકોને સિલિન્ડર મળી નથી રહ્યા. એક તબક્કે મેસ સંચાલકોએ તંત્ર સમક્ષ ઇન્ડક્શન સગડી ચલાવવા રજૂઆત કરતાં તંત્રે પરવાનગી પણ આપી દીધી હતી. ઉલ્લેખનિય છે કે, મેસ સંચાલકના કરારમાં ઈન્ડક્શન સગડી પર જમવાનું બનાવવા પર પાબંદી મૂકાઈ છે. આખરે મોડી સાંજે સિલિન્ડરનો સ્ટોક આવી જતાં રાહત થઈ હતી. બીજી બાજુ ગોત્રી જીએમઈઆરએસ હોસ્ટેલની મેસમાં દિવસમાં 2 વાર મોનિટરિંગ કરાય છે. જેમાં સિલિન્ડરના સ્ટોકની માહિતી લેવાય છે.
શહેરમાં 3 દિવસથી પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે ત્યારે રોડ પરનો ડામર પીગળતાં વાહન ચાલકો અને રાહદારીઓને પરેશાની થઈ રહી છે. પાલિકાની બેઠકમાં રોડ પર ડામર પીગળવાની ઘટનામાં મ્યુનિ. કમિશનરે ગંભીરતા દાખવી છે. ઝોનના અધિકારીઓને રોડ પર ફરવા સાથે રેતીનો છંટકાવ કરવા અને કોન્ટ્રાક્ટરો સામે પેનલ્ટી વસૂલવા સુધીની કાર્યવાહી કરવા સૂચના આપી છે. શહેરમાં તાપમાનમાં એકાએક વધારો થતાં પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે, જેની અસર હલકી ગુણવત્તાના રોડ પર પડી રહી છે. અનેક રોડ પર ડામર પીગળી જવાની ઘટના બાદ મ્યુનિ. કમિશનરે પણ પેનલ્ટી ફટકારવા સહિતની કાર્યવાહી કરી હતી. ત્યારબાદ પણ નવાયાર્ડ અને અટલાદરા-કલાલી રોડ પર ડામર પીગળી જવાની ઘટના બની હતી. જેમાં માત્ર રેતી નાખી ઢાંકપિછોડો કરવામાં આવ્યો હતો. પાલિકામાં મળેલી રિવ્યૂ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ રોડ પર ડામર પીગળવાની ઘટનાને ગંભીર ગણાવી હતી. તેઓએ અધિકારીઓને ફીલ્ડમાં જઈ રોડનું નિરીક્ષણ કરવા સૂચના આપી છે. તદુપરાંત જો ડામર પીગળે તો તેના પર રેતી છંટાવવા અને હલકી કક્ષાની કામગીરી હોય તો કોન્ટ્રાક્ટર સામે દંડનીય કાર્યવાહી કરવા તાકીદ કરી છે. પાલિકા દ્વારા 100 રોડ પૈકી 56 રોડની સફાઈ કરાઈપાલિકાની રિવ્યૂ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ આગામી એક મહિનામાં પૂર્વ અને દક્ષિણ વિસ્તારને 12.50 કરોડ લિટર પાણી મળે તેની ચિંતા કરાઈ હતી. આ સિવાય 100 દિવસ-100 રોડની સફાઈ અભિયાન અંતર્ગત 56 રોડની સફાઈ શરૂ કરાઈ છે. આગામી દિવસોમાં વારંવાર રોડની સફાઈ કરવામાં આવશે. રિવ્યૂ બેઠકમાં વિશ્વામિત્રી નદી, સફારી પાર્ક, સ્વિમિંગ પુલ સહિત 20 મુદ્દા પર ચર્ચા કરાઈરિવ્યૂ બેઠકમાં મ્યુનિ. કમિશનર અરુણ મહેશ બાબુએ વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ભવિષ્યમાં થનારા કામ અંગે ચર્ચા કરી હતી. તદુપરાંત આજવા સફારી પાર્ક, હાઈસ્પીડ રેલવે કોરિડોર વિસ્તારને ડેવલપ કરવાના, લિનિયર પાર્ક, એરપોર્ટ રોડ વિકસાવવો, સિટીનો માસ્ટર પ્લાન, 6 ટ્રાફિક કોરિડોર, કમાટીબાગ પ્લેનેટોરિયમને શરૂ કરવા, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્વિમિંગ પુલ બનાવવા સહિત 20 કામો પર ચર્ચા કરાઈ છે.
રાજ્ય સરકારે એઆઇ બેઝ આરટીઓ ટેસ્ટ ટ્રેક શરૂ કરવા કવાયત કરી છે. બીજી બાજુ વડોદરાની નજીકનાં તમામ આરટીઓમાં ટેસ્ટ ટ્રેક કાર્યરત કરાયાં છે. જેથી આરટીઓ એજન્ટોનો ઘરે બેઠાં લાઇસન્સ કઢાવી આપવાનો ગોરખધંધો બંધ થયો છે. ટેસ્ટ ટ્રેક ન હોય તેવા આરટીઓમાં વડોદરાના લોકો પાસેથી લાઇસન્સ કઢાવી આપી 10 થી 15 હજાર પડાવાતા હતા, જે હવે બંધ થયું છે. વડોદરાથી બે મહિનામાં આણંદ, ગોધરા અને છોટાઉદેપુરમાં લર્નિંગ લાઇસન્સ કઢાવનારા 2 હજાર લોકો અટવાયા છે. હવે ટેસ્ટ ટ્રેક કાર્યરત થતાં લર્નિંગ લાઇસન્સ પૂરું થાય ત્યાં સુધી રાહ જોયા બાદ 6 મહિને ફરી વડોદરામાં લર્નિંગ લાઇસન્સ કઢાવી અત્રે ટેસ્ટ આપવો પડશે. અગાઉના આરટીઓમાં ટેસ્ટ આપે અને વારંવાર નાપાસ થાય તો દૂર સુધી ધક્કો ખાવો પડે. બીજી તરફ વડોદરા આરટીઓમાં ટેસ્ટ આપનારાની સંખ્યા પણ વધી છે. એક મહિલાએ 5 ટેસ્ટ આપ્યા છતાં નાપાસ થઈવડોદરાથી અન્ય આરટીઓમાં લાઇસન્સ કઢાવનારા 2 હજાર લોકો અટવાયા છે. અત્રે આજે ટેસ્ટ આપનાર સુરક્ષા એજન્સીની એક મહિલા 5 વાર ટેસ્ટ આપવા છતાં પાસ થઇ નથી. > પી.જે. પંચાલ, હનુમંત ઓટો એડવાઇઝર એજન્સી ઉમેદવારોની ચાલાકી બંધ કરવા ટેસ્ટ ટ્રેક શરૂ કર્યાટેસ્ટ ટ્રેક ન હોય ત્યાંથી લાઇસન્સ કઢાવવાની પ્રવૃત્તિ બંધ થાય તે માટે સરકારે ટ્રેક શરૂ કર્યા છે. ટેસ્ટ આપનારા 10 ટકા વધ્યા છે. > કેતન ખપેડ, આરટીઓ, વડોદરા વડોદરામાં ટેસ્ટ આપનાર 60 ટકા મહિલા નાપાસ થાય છેવડોદરા આરટીઓમાં ટેસ્ટ આપનાર ઉમેદવારો પૈકી 60 ટકા મહિલા નાપાસ થાય છે. આરટીઓ કન્સલ્ટન્ટે જણાવ્યા મુજબ જે મહિલાની ટ્રેક પાસ કરવાની ક્ષમતા હોતી નથી, તે ટ્રેક ન હોય ત્યાં લાઇસન્સ કઢાવાનું પસંદ કરતી હતી. હવું આવું નહીં થઈ શકે.
વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા 13 માર્ચે વર્લ્ડ સ્લીપ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ‘સારું ઊંઘો અને સારું જીવો’ની થીમ પર સ્લીપ ડેની ઉજવણી કરવામાં આવશે. સારી ઊંઘ ન મળવાને કારણે ઘણી બીમારીઓ થઈ શકે છે, જેમાંથી મુખ્ય બીમારી સ્લીપ એપનિયા છે. જેમાં સૂતી વખતે વારંવાર શ્વાસ લેવાનું બંધ થઈ જાય છે અને ફરી શરૂ થાય છે. હાલના સમયમાં લોકોમાં સ્લીપ એપનિયા ઝડપથી વધી રહ્યો છે. જેને કારણે હૃદય રોગ અને અન્ય ગંભીર સમસ્યાની શક્યતા વધે છે. હાલ શહેરમાં 5 હજારથી વધુ દર્દી સ્લીપ એપનિયાથી પીડાઈ રહ્યા છે. આ અંગે ડૉ.દર્શન બેંકરે કહ્યું કે, સ્લીપ એપનિયાને કારણે હૃદયની બીમારી વધવાની શક્યતા રહે છે. અમારી ઓપીડીમાં 20 થી 25 ટકા દર્દીને સ્લીપ એપનિયાની તકલીફ હોય છે. જેમાં હાઈપર ટેન્શન થાય છે અને બ્લડ પ્રેશર વધે છે. આ રોગથી હૃદય પણ બંધ પડી જાય છે સાથે હૃદયરોગના હુમલાની શક્યતા વધી જાય છે. આ રોગમાં વ્યક્તિ ઊંઘતો હોય ત્યારે ઓક્સિજન ઘટી જાય છે અને હૃદયના ધબકારા ઘટી જાય છે. જ્યારે ડૉ.મહેશ બસર્ગેએ જણાવ્યું કે, સ્લીપ એપનિયામાં દર્દીના શ્વાસ રુંધાઈ જાય છે અને તેના કારણે તે ઊઠી જાય છે. જેથી તે દિવસ દરમિયાન ઘેનમાં રહે છે. આ સ્થિતિમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ કાબૂમાં ન રહેવો જેવી તકલીફ રહે છે. જેને કારણે હ્રદય રોગનો હુમલો, નળીઓ બ્લોક થવાની સંભાવના વધી જાય છે. સાથે નસકોરાં બોલવવા એ સ્લીપ એપનિયાનું લક્ષણ છે. લોકો નસકોરાને અવગણી સ્લીપ સ્ટડી કરાવતા નથી. લોકો નસકોરાને બીમારી સમજતા જ નથી અને ચેકઅપ નથી કરાવતા. દર્દીને જે તે સમયે ખ્યાલ આવતો નથી પણ લાંબા સમયે ઘણી બધી સમસ્યા થઈ શકે છે. મોટાપાને કારણે સ્લીપ એપનિયાનું જોખમ વધે છેમોટાપાથી સ્લીપ એપનિયાનું જોખમ વધી જાય છે. મોટાપાને કારણે ગળાની આસપાસ ચરબી જમા થાય છે, તેને કારણે શ્વસન નળી સંકોચાય છે. જેથી રાત્રી દરમિયાન શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જવાને કારણે વ્યક્તિ નસકોરાં બોલાવે છે. ઓક્સિજન ઘટવાથી અન્ય અવયવોને તકલીફ પડે છે અને તેના કારણે હૃદય રોગના હુમલાનું જોખમ વધે છે. લોકો માને છે કે, નસકોરા એ સારી ઊંઘની નિશાની છે, પણ તેવું નથી. > ડૉ.અમિત દવે, પલ્મોનોલોજિસ્ટ
બોર્ડની પરીક્ષા:મોરબી જિલ્લામાં ધોરણ 12 સામાન્ય, વિજ્ઞાન પ્રવાહમાં 20 છાત્ર ગેરહાજર
રાજ્યમાં હાલ ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, જે અંતર્ગત મોરબી જિલ્લામાં ધોરણ 12ના વિવિધ વિષયોની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આજે સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિષયનું પેપર લેવાયું હતું જેમાં કુલ 4,043 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 4,027 વિદ્યાર્થી હાજર રહ્યા હતા ત્યારે 16 વિદ્યાર્થી ગેરહાજર હતા. અંગ્રેજી માધ્યમમાં 166 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આમ કુલ 4,209 વિદ્યાર્થીમાંથી 16 વિદ્યાર્થી ગેરહાજર અને 4,193 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં આજે ગુજરાતી વિષયનું અને સંસ્કૃત વિષયનું પણ પેપર આજે લેવાયું હતું, જેમાં ગુજરાતી ભાષામાં કુલ 244 વિદ્યાર્થીમાંથી 241 વિદ્યાર્થી હાજર રહ્યા હતા, ત્યારે સંસ્કૃત વિષયમાં 1480 વિદ્યાર્થીમાંથી 1479 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
મોરબીમાં દલવાડી સર્કલ પાસે વાડી વિસ્તારમાં રહેતા દંપતિ વચ્ચે અણબનાવે એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું કે આખા પરિવારમાં બઘડાટી બોલી ગયાની ઘટના સામે આવી છે. જેમાં પરણીતાના ચારિત્ર ઉપર શંકા વહેમ કરીને તેના પતિ, દિયર અને સસરાએ લોખંડના હથોડાના ઘા કરી પગના ભાગે ઈજા કરી, માથાના વાળ ખેંચીને ઇજાઓ કરી હતી. સામાપક્ષે પુત્રવધુએ સસરાને રસોઈ બનાવવાની તપેલી વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોરબીમાં દલવાડી સર્કલ પાસે આવેલ રોલા રાતડીયાની વાડીમાં રહેતા, મજૂરી કામ કરતા મનિષાબેન ડાભી (ઉ.વ.30) નામના પરિણીતાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેમના સસરા દેવકરણભાઈ નારણભાઈ, પતિ દિલીપભાઈ દેવકણભાઈ અને દિયર જગદીશભાઈ દેવકણભાઈ સામે આરોપીઓએ ફરિયાદ નોંધાવી હતી કે, પતિ સહિતના સાસરિયાઓએ પરિણીતાના ચારિત્ર ઉપર શંકા વહેમ કરીને જેમ ફાવે તેમ ગાળો આપીને લોખંડના હથોડાના ઘા કરી પગના ભાગે ઈજા કરી હતી તથા માથાના વાળ ખેંચીને ઇજાઓ કરી હતી જ્યારે સામાપક્ષેથી દેવકણભાઈ નારણભાઈ ડાભી (ઉ.વ.60) એ મનીષાબેન દિલીપભાઈ ડાભી સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી મનીષાબેન તેના દીકરાની વહુ છે અને બંને વચ્ચે છેલ્લા થોડા સમયથી અવારનવાર ઝઘડા થતા હોય ગઈકાલે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો તેનો ખાર રાખીને પુત્રવધુએ સસરાને મન ફાવે તેમ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી રસોઈ બનાવવાની તપેલી વડે હાથમાં માર મારીને ઇજા કરી હતી. આથી પોલીસે આ ઘરેલુ હિંસાના બનાવમાં સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગંભીર અકસ્માત સર્જાયો:મોરબીમાં કારે રિક્ષાને અડફેટે લેતા બે બાળક સહિત ચાર ઘાયલ
મોરબીના ઘુનડા રોડ પર આવેલા વૈદેહી ફાર્મ પાસે અકસ્માતની એક ઘટના સામે આવી છે. જેમાં સામેથી આવતી કારના ચાલકે એક રિક્ષાને હડફેટે લેતા રિક્ષામાં સવાર 4 લોકોને ઇજાઓ પહોંચી છે. ઘટનાના પગલે આસપાસ લોકોના ટોળાં એકઠાં થઇ ગયા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવા તજવીજ શરૂ કરી હતી. ઘટનાની તપાસ શહેર પોલીસ ચલાવી રહી છે અને ફરાર ચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. મોરબીના સજનપર રોડ પર રહેતો પરિવાર રિક્ષામાં પસાર થઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષા ચાલક વિક્રમ અબ્રાહમ ભરવાડિયા (ઉ.વ. 20), માયા અર્જુન ભરવાડિયા (ઉ.વ. 22), જાગુ અર્જુન ભરવાડિયા (ઉ.વ. 2) અને માત્ર 4 મહિનાના માસૂમ રાજ અર્જુન ભરવાડિયાને ઇજાઓ પહોંચી છે. અકસ્માત સર્જાતા જ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મોરબીના ચામુંડાનગરમાં રહેતા સામાન્ય વર્ગના ચાવડા સુરેશભાઈ રામજીભાઈની પુત્રી હર્ષાબેન કુલદીપભાઈ રાઠોડનો મહિલા દિવસે જન્મદિવસ હોવાથી નારી શક્તિ વિશે સમાજને વિસ્તૃત જ્ઞાન આપવા પ્રેમાળ પુત્રીના જન્મદિવસને યાદગાર બનાવવા સત્સંગસભાનું આયોજન કરાયું હતું. સત્સંગ સભામાં પીપળીમાં આવેલ કિરણ આશ્રમના સંત કિરણબેને પરમ આધ્યાત્મિક વાણીની સાથે કુટુંબ, સમાજ અને દેશમાં નારી યોગદાનની વાત કરી સિક્કાની બે બાજુની જેમ પુરુષ પ્રધાન સમાજમાં ક્યાંકને ક્યાંક સ્ત્રીનું હિત અને સ્વમાન જળવાતું ન હોય તો બીજી તરફ કેટલીક સ્ત્રીઓના અહંકારથી આખા ઘરનું સુખ હણાય જતું હોય અને કુટુંબ ક્લેશમાં મોટાભાગે સાસુ, વહુ, નંણદ ભોજાઈ સહિતની ઘરની સ્ત્રીઓના એકબીજાના વર્ચસ્વ અને સ્વમાનનો પ્રશ્ન જવાબદાર હોય છે. એટલે ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવી હોય દરેક સ્ત્રીને સમજણ કેળવવાની શીખ આપી હતી. આ તકે હર્ષાબેને કહ્યું હતું કે, મારા પિતા સુરેશભાઈએ સામાન્ય આવકમાં પણ સારું શિક્ષણ અપાવી ઉચ્ચ સંસ્કાર સાથે જીવનનું ઘડતર કરી સાસરે વળાવી હતી. સાસુ-સસરાને માબાપ સમજીને એમની સેવામાં તારું જીવન અર્પણ કરી દેજે અને એમની લાગણી ક્યારેય દુભાય એવી વાણી કે વર્તન કરીશ નહિ. સત્સંગ સભામાં શ્રાવકોને સંત કિરણબેને આધ્યાત્મિક વાણી પીરસી હતી. રવિ બરાસરા
બબાલ થઈ:વાંકાનેર જમાતખાનામાં જમવા મુદ્દે માથાકૂટ, યુવક પર હુમલો
વાંકાનેર શહેરમાં વોરા સમાજના જમાતખાનામાં જમવા બેસવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનામાં બે શખ્સોએ યુવકની દાઢી ખેંચી, આંગળીમાં બચકું ભર્યું અને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ભોગ બનનાર યુવકે વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પવિત્ર રમઝાન મહિના દરમિયાન ગઈકાલે રાત્રિના સમયે હુસેનભાઈ મહંમદહુસેન વેદ જમાતખાનામાં જમવા ગયા હતા. તે સમયે જમવા બેસવાની બાબતે ત્યાં હાજર મુર્તુજા મુસ્તાકભાઈ હાથી અને અબ્બાસભાઈ અસગરઅલી હાથી સાથે બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ બંને આરોપીઓ ઉશ્કેરાઈ જતા હુસેનભાઈ સાથે મારામારી કરી હતી. આરોપીઓએ ફરિયાદીની દાઢી ખેંચી હતી તેમજ તેમની આંગળીમાં બચકું ભર્યું હતું. વધુમાં છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે હુસેનભાઈ વેદે વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મરતજા મુસ્તાકભાઈ હાથી અને અબ્બાસભાઈ અસગરઅલી હાથી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી મનપાને રેલો આવ્યો:વીજ જોડાણ કટ થાય તે પહેલાં 16.33 કરોડ ચૂકવી દીધાં
મોરબીમાં હમણાં જ વીજતંત્રએ લાંબા સમયથી વીજ બિલ ભરવામાં નાદારી કરતા બાકીદારોને વીજ જોડાણ કટની નોટિસ ફટકારી વીજબીલની આકરી વસુલાત કરી હતી અને ઘણાના વીજ જોડાણ કટ પણ કરી નાખ્યા હતા. તેવી રીતે નગરપાલિકા વખતથી મનપા સુધી મોટી રકમનું વીજ બિલ બાકી હોવાથી મનપાને પણ વીજતંત્રએ નોટિસ ફટકારી હતી. પણ તંત્રએ વીજ જોડાણ કટ ન કરતા કોંગ્રેસે ભારે કાગારોળ મચાવી વીજતંત્રની કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા હતા. આથી શરમમાં મુકાતા જવાબદારીનું ભાન થતા મનપાએ રાતોરાત લાંબા સમયથી રૂ.16.33 કરોડના બાકી બિલ ભરીને સિંહ માર્યો હોય તેવું જાહેર કર્યું છે. મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા મોરબી શહેરને વધુ પ્રકાશિત અને સુવિધાસભર બનાવવા માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ, નગરપાલિકા સમયના પીજીવીસીએલના બાકી વીજ બિલની અંદાજે રૂપિયા 16.33 કરોડની સંપૂર્ણ ચૂકવણી કરવામાં આવી છે. જેમાં સ્ટ્રીટ લાઈટના મીટર, ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનો તેમજ વોટર સપ્લાય પમ્પિંગ સ્ટેશનોનો સમાવેશ થાય છે. આ કામગીરીથી શહેરની આધારીક સુવિધાઓ વધુ મજબૂત બનશે અને નાગરિકોને રાત્રિ દરમિયાન વધુ સુરક્ષા તથા સુવિધા મળશે. આગામી સમયમાં મોરબી શહેરમાં લાઈટોને લગતી તમામ સમસ્યાઓનું ઝડપી નિવારણ કરવામાં આવશે. શહેરની લાઇટિંગ સંબંધિત તમામ જરૂરિયાતો પૂર્ણ થાય તે માટે સતત પ્રયાસો કરાઈ રહ્યાનો દાવો કરવામાં આવ્યો છે ત્યારે સવાલ એ થાય કે મનપા બન્યાને પણ એક વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો અને પાલિકા વખતના બીલ બાકી હતા તો અત્યાર સુધી તંત્રએ ચલાવી કેમ લીધુંં?! આ મામલે શહેરમાં ચર્ચા ઉઠી છે કે સામાન્ય ગ્રાહકો સામે કડક કાર્યવાહી કરતી વીજ કંપનીએ મનપા સામે લાંબા સમય સુધી શા માટે નરમ વલણ દાખવ્યું તેની પણ તપાસ થવી જોઈએ.
હીટવેવના લીધે નાગરિકોના હિતમાં નિર્ણય:જનસેવા, આધાર કેન્દ્રો હવે 2 સત્રમાં, બપોરે 1થી 4 કામગીરી બંધ
સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વધી રહેલા તાપમાન અને હવામાન વિભાગની હીટવેવની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર કચેરી હસ્તકના તમામ જનસેવા કેન્દ્રો, ઇ-ધરા કેન્દ્રો અને બેંક-પોસ્ટના આધાર કેન્દ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અસહ્ય ગરમી અને લૂથી બચવા માટે હવે આ કેન્દ્રો પર બપોરના સમયે કામગીરી સ્થગિત રાખી, સવાર અને સાંજ એમ બે પાળીમાં અરજદારોનું કામ કરવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લામાં આકરા ઉનાળાના આરંભ થઈ ગયો છે. સાથે હાલ ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી જતા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હતું. આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતાને ધ્યાને રાખીને, નાગરિકોને હીટવેવની વિપરિત અસરોથી બચાવવા માટે કલેક્ટર કચેરી દ્વારા જનસેવા કેન્દ્રો અને આધાર કેન્દ્રોના કાર્યકાળના સમયમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. જિલ્લાની કલેક્ટર કચેરી, તમામ તાલુકાના જનસેવા કેન્દ્રો, ઇ-ધરા કેન્દ્રો તેમજ બેંક અને પોસ્ટ ઓફિસમાં કાર્યરત તમામ આધાર કેન્દ્રોના સમયમાં ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ કેન્દ્રો સવારના 10-30થી સાંજના 6-10 કલાક સુધી કાર્યરત રહેતા હતા, પરંતુ હવે હિટવેવને પગલે નવો સમય નક્કી કરવામાં આવ્યો છે. જે મુજબ હવે આ બધા જ કેન્દ્રો 2 સત્રમાં ચાલશે. જેમાં બપોરે 1થી 4 સુધી કામગીરી બંધ રહેશે. નવો સમય પત્રક 31-5 સુધી રહેશે નવા નક્કી કરાયેલા સમય મુજબ, હવે આ કેન્દ્રો સવારે 9થી બપોરે 1 કલાક સુધી અને ત્યારબાદ બપોર પછી 4થી સાંજના 6 કલાક સુધી જનતા માટે ખુલ્લા રહેશે. બપોરે 1થી 4 દરમિયાનના અસહ્ય તાપના સમયગાળામાં જાહેર જનતાની કામગીરી બંધ રહેશે. જેથી હીટવેવની સીધી અસરથી બચી શકાય. આ નવા સમયપત્રકની અમલવારી તા.13-3-2026થી શરૂ થઈને તા.31-5-2026 સુધી અમલમાં રહેશે - કે.આર. પટેલ, નિવાસી અધિક કલેક્ટર
ભાસ્કર ફોલોઅપ:3 ફૂટની દીવાલ ઉપર 3 ફૂટની નવી દીવાલ ચણતાં દુર્ઘટના ઘટી
પાટડીના કચોલીયા ગામે 7 માર્ચે સ્નાનાઘાટની દીવાલ ધરાશાઈ થતાં 38 વર્ષની મહિલાનું મોત નિપજ્યું હતું. દિવ્ય ભાસ્કરની તપાસમાં સામે આવ્યું હતું કે, કચોલીયામાં 3 ફૂટની જૂની દીવાલવાળા હોજ પર નવી 3 ફૂટ ઊંચી દીવાલ બનાવી, જે પાણીના પ્રેસરથી વજન ન ઝીલતા દીવાલ તૂટતાં 38 વર્ષની મહિલાનો ભોગ લેવાયો હતો. જેમાં માત્ર ઠરાવ કરીને પ્લાન એસ્ટિમેન્ટ કે વર્ક ઓર્ડર વગર કામ કરાયું હોવાનું સામે આવતા તપાસના આદેશ કરાયા છે. દિવ્ય ભાસ્કરની તપાસમાં વિગતો સામે આવી કે, અગાઉ તળિયેથી 3 ફૂટ ઊંચાઈમાં ચારે બાજુ દીવાલવાળો હોજ હતો. આ દીવાલ પર 3 ફૂટ હાઈટ ઊંચો ઉપાડવાની કામગીરી પંચાયતે કરાવી હતી. જેથી પાણીની સ્ટોરેજ કેપેસિટી ડબલ થઈ ગઈ હતી. પરંતુ નીચે જૂનું બાંધકામ હોય પાણીના પ્રેસરથી નીચેથી દીવાલો તૂટી પડી હતી. જેના કારણે ત્યાં કપડા ધોઈ રહેલી મહિલા પર દીવાલ પડતા દટાઈ જવાથી સ્થળ પર જ મહિલાનું મોત થયું હતું. FSL અધિકારીએ નમૂના લઈ ગયા છે. આ કામમાં માત્ર ઠરાવ કરીને પ્લાન એસ્ટિમેન્ટ કે વર્ક ઓર્ડર વગર કામ કરાયું હોવાનું સામે આવતા તપાસના આદેશ કરાયા છે. સામાજિક આગેવાન કિરિટ રાઠોડે જણાવ્યું કે, આ ઘટનામાં માર્ચ માસમાં ગ્રાન્ટ લેપ્સ ના જાય એટલે પ્લાન એસ્ટિમેન્ટ કે વર્ક ઓર્ડર વગર કે તાલુકા પંચાયતની મંજૂરી વગર માત્ર ઠરાવ પસાર કરીને જ આ કામ કરાયું હોવાથી 10 મુદ્દા સાથે ન્યાયિક તપાસની માંગ સાથે લેખિત આવેદનપત્ર આપ્યું હતું. નાયબ ડીડીઓ દ્વારા તપાસના આદેશઆ અંગે પાટડીના ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી નિલેશભાઈ પંચાલે જણાવ્યું કે, આ કામનો પ્રાથમિક રિપોર્ટ તો કરી દેવામાં આવ્યો છે. આ કામમાં માત્ર ઠરાવ કરીને કામ કર્યું હોવાનું સામે આવ્યું છે, આ કામમાં તાલુકા પંચાયતની કોઈ જ મંજૂરી લેવામાં આવી નથી. આથી આ બાબતે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. 3 દિવસમાં જવાબ રજૂ કરવા નોટિસ કચોલીયા ગામે તળાવ પાસે આવેલા પાણીના હોજની દીવાલ પડી જવાથી મહિલાના મોત મામલે આ મિલ્કત કયારે બનાવવામાં આવેલ છે ? તથા ગ્રામ પંચાયતમાં ખર્ચ કે ઠરાવ કરેલ છે કે કેમ ? તથા આ અંગેના પ્લાન-એસ્ટિમેન્ટ / વહીવટી મંજૂરી /વર્ક ઓર્ડર મેળવેલ છે કે કેમ ? તથા આ અંગેના તમામ સાધનિક કાગળો તથા આ બનાવ કઈ રીતે બનવા પામેલ છે ? તે અંગેના રોજકામ સહિત સાધનિક કાગળો સાથેનો અહેવાલ દિન-3માં રજૂ કરવા ટીડીઓ દ્વારા તલાટી કમ મંત્રીને નોટિસ ફટકારવામાં આવી છે.
મીડલ ઇસ્ટના દેશોમાં યુધ્ધની સ્થિતિને લઇ હાલ ગેસના સતત ભાવ વધારો થતા લોકોના બજેટ ખોરવાઇ રહ્યા છે. હાલ ઘરેલુ ગેસના 14 કિલોના 60, કોમર્શિયલના 19 કિલોના 100 અને 5 કિલો કોમર્શિયલમાં રૂ. 28નો વધારો થયો છે. સુરેન્દ્રનગરમાં મહિને 3.20 લાખ ઘર વપરશ અને 50 હજાર કોમર્શિયલ ગેસ બાટલાનું વેચાણ થતું હોવાથી ભાવ વધારાને લઇ લોકો માથે દર મહિને 6.50 કરોડનું ભારણ વધે તેમ છે. મીડલ ઇસ્ટના દેશોમાં યુધ્ધને પગલે કોમર્શિયલ ગેસના સપ્લાય પર કાપની અસર વર્તાઈ રહી છે. જેને પગલે ઘરેલુ ગેસના ભાવમાં થોડા સમયમાં રૂ.60ના ભાવ વધારા સાથે 14 કિલો બાટલાના 919 થયા જ્યોર કોમર્શિયલમાં 19 કિલોના બાટલામાં રૂ.100 વધારા સાથે 1944 અને કોમર્શિયલ ગેસના 5 કિલોના રૂ. 28ના વધારા સાથે 553 ભાવ થયો છે. જેમાં જિલ્લામાં મહિને 3.20 લાખ ઘેરલુ વપરશ અને 50 હજાર કોમર્શિયલ બાટલાની જરૂર હોય છે. 5 વર્ષમાં ઘરેલુ, કોમર્શિયલ ગેસના બાટલાના ભાવમાં અનેક ફેરફાર
સુરેન્દ્રનગર શહેરની સરદાર પટેલ વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી વૈજ્ઞાનિક વિચારધારા અને કલાત્મક કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે એક ભવ્ય સાયન્સ ફેર અને ‘વેસ્ટમાંથી બેસ્ટ’ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા શીલ્ડ આપી પ્રોત્સાહિત કરાયા હતા. તાજેતરમાં સરદાર પટેલ વિદ્યાલય ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમમાં તા.1-3-2026ને રવિવારના રોજ ભવ્ય સાયન્સ ફેર અને વેસ્ટમાંથી બેસ્ટ સર્જનનું પ્રદર્શન યોજવામાં આવ્યુ હતું. જેમાં ધો.-1 થી 4 ના બાળકોને વેસ્ટેજ વસ્તુઓમાંથી ફુલદાની, સસલા ગાડી, ચકલી ઘર, કાર્ડબોર્ડ, ઝુમ્મર, બાસ્કેટ, ઘર, લગ્નની છાબ ટ્રે, એ.ટી.એમ., વોલપીસ, ફોટોફ્રેમ જેવી અનેક સુંદર, આકર્ષક અને ઉપયોગી વસ્તુઓ બનાવી હતી. ધો. 5 થી 9 અને 11ના વિધાર્થીઓએ રોબોટિક પ્રોજેક્ટ, વિદ્યુત અંગેના પ્રોજેક્ટ, કાળ ગણના, વ્યાકરણ, ભાષા, સ્વચ્છતા, સ્માર્ટ સીટી, પવનચક્કી, ગણિત કોયડાઓ, પાણી શુદ્ધિકરણ, કુલર, સોલાર પ્રોજેક્ટ, ટ્રાફિક સોલ્યૂશન, માનવ શરીરની કામગીરી, થ્રિડી પ્રોજેક્ટ, ડાર્કરૂમ પ્રોજેક્ટ, બાયોગેસ, એલાર્મ, ગ્લોબલ વોર્મિંગ, ચંદ્રયાન જેવા રોબોટિક, સાયન્સ, મેથ્સ અને ભાષાના પ્રોજેક્ટ રજૂ કર્યા હતા જેને નિહાળવા માટે સવારે 8 થી બપોરે 12.30 સુધી વાલીઓ, શહેરના વિજ્ઞાન પ્રેમીઓએ મુલાકાત લીધી હતી. સરદાર પટેલ વિદ્યાલય પ્રતિવર્ષ ભવ્ય સાયન્સ ફેર યોજે છે અને બાળકોની સર્જન કલા અને વૈજ્ઞાનિક વિચાર શક્તિને બિરદાવતા તમામ બાળકોનું શીલ્ડથી સન્માન કરાયુ હતું.
ઇમાનદારીના દર્શન થયા:સુરેન્દ્રનગરની મહિલાએ મળેલું સોનાનું મંગળસૂત્ર પરત કર્યુ
સુરેન્દ્રનગરમાં મહેતા જ્વેલર્સની બહાર રોડ પરથી એક મહિલાને બે તોલાનું સોનાનું મંગળસૂત્ર મળ્યું હતું. રાધિકાબા અજયરાજસિંહજી નામના ગ્રાહકે આ મંગળસૂત્ર દુકાન માલિકને પરત કર્યું હતું. નવલગઢના રાધિકાબા અજયરાજસિંહજીને દુકાનની બહાર રોડ પરથી આ મંગળસૂત્ર મળ્યા બાદ તેમણે મહેતા જ્વેલર્સના સંચાલકોને જાણ કરી હતી. દુકાનના સીસીટીવી કેમેરા તપાસતા આ મંગળસૂત્ર વણા ગામના સોનલબેનનું હોવાનું જાણવા મળ્યું હતું. સંપૂર્ણ ખાતરી કર્યા બાદ, મહેતા જ્વેલર્સ દ્વારા સોનલબેનને તેમનું મંગળસૂત્ર પરત સોંપાયુ હતું.
સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિના સમૂહલગ્ન યોજાયા:જોરાવનગરના સમૂહ લગ્નમાં 6 નવદંપતીના પ્રભુતામાં પગલાં
સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ, જોરાવનગર દ્વારા 27માં સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરાયુ હતું. આ પ્રસંગે 6 નવદંપતીએ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે લગ્નગ્રંથિથી જોડાઈને નવા જીવનના શ્રીગણેશ કર્યા હતા. 27 વર્ષથી સતત ચાલતી આ પરંપરાએ સમાજમાં આર્થિક બચત અને સાદગીનો પ્રેરણાદાયી સંદેશ વહેતો કર્યો છે. સેવાકીય પરંપરાના 27 વર્ષ પૂર્ણ થયા છે અત્યાર સુધીમાં કુલ 290 નવદંપતી જોડાયા છે. આ અવસરે નાયબ મુખ્ય દંડક વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા અને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ નવદંપતીઓને આશીર્વાદ પાઠવતા જ્ઞાતિ મંડળની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી. આ સમૂહ લગ્નમાં મુખ્ય યજમાન પદે છોટાલાલ વિઠ્ઠલદાસ પિત્રોડા પરિવારે સેવા આપી દીકરીઓને ભેટ અર્પણ કરી હતી. ઉદારદિલ દાતાઓ દ્વારા દીકરીઓને ઘરવખરી સહિતનો સંપૂર્ણ કરિયાવર ભેટમાં આપવામાં આવ્યો હતો. જોરાવનગર સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળે 27 વર્ષમાં કુલ 290 નવદંપતીઓના સમૂહ લગ્ન કરાવી મંડળે સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો:હળવદ : બોલેરો ગાડીના ચાલકે બાઈકને અડફેટે લેતા 1નું મોત
હળવદના જીઆઇડીસી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા ઇદ્રીશભાઈ રસુલભાઈ માણેકે બોલેરોના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર આવેલ ચાર રસ્તા પાસે જોગણી માતાજીના મંદિર નજીકથી તેઓ ડબલ સવારી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે બોલેરો ગાડીના ચાલકે તેના બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો. આ બનાવમાં બાઈકમાં પાછળના ભાગે બેઠેલ સાહેદ હમીરભાઇને ઇજાઓ થઈ હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2030 સુધીમાં શહેરને રેબીસ ફ્રી સિટી બનાવવાનો લક્ષ્ય રખાયો છે. સ્ટ્રીટ ડોગ્સની સંખ્યા અને સ્થિતિ અંગે ચોક્કસ માહિતી મેળવવા માટે કામગીરી શરૂ કરાઇ છે. ભાસ્કર ન્યૂઝ|સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મનપાએ શહેરમાં રખડતાં કૂતરાંઓ ઉપર અંકૂશ મેળવવા અમદાવાદની એજન્સીને સર્વે કામગીરી સોંપી છે. ગોલ ફાઉન્ડેશનની ટીમ દ્વારા 1 મહિનામાં બે ઝોન પાડી સોફ્ટવેરની મદદથી તમામ વિગતો ડિજિટલ કરશે. જેમાં શ્વાનના લીંગ, તદુરસ્તી, ખોડખાપણ અને કદ સુધીની વિગત આવી જશે. સુરેન્દ્રનગર મનપા દ્વારા વર્ષ 2030 સુધીમાં શહેરને રેબીસ ફ્રી સિટી બનાવવાનો લક્ષ્ય રખાયો છે. આથી અમદાવાદ સ્થિત અનુભવી અને એક્સપર્ટ ગોલ ફાઉન્ડેશનની ટીમ દ્વારા ડોગ્સની ગણતરી, તેમની સ્થિતિ અને સ્થળની માહિતી ડિજિટલ એપ અને જીઓ-મેપિંગ દ્વારા નોંધવામાં આવશે. આ પ્રક્રિયા વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવશે જેથી ભવિષ્યમાં અસરકારક આયોજન શક્ય બને.સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગોલ ફાઉન્ડેશન દ્વારા શહેરના નાગરિકોને આ કામગીરીમાં સહકાર આપવા અપીલ કરવામાં આવે છે. નાગરિકોના સહકારથી જ શહેરમાં રેબીસ નિયંત્રણ અને સ્ટ્રીટ ડોગ મેનેજમેન્ટ સફળતાપૂર્વક અમલમાં આવી શકશે. ખસીકરણ બાદ 6 દિવસ ઓબઝર્વમાં રખાશેસોફ્ટવેરમાં ઓનલાઇન એન્ટ્રીથી ડોગની સંપૂર્ણ વિગત આવી જશે. શ્વાનનો કુલ આંકડો મળી ગયા બાદ પાંજરાની વ્યવસ્થા કરાશે. ખસીકરણ કર્યા બાદ ડોગને 6 દિવસ ઓબઝર્વમાં રખાશે. ત્યારબાદ તે વિસ્તારમાં જ મુકત કરાશે. > ભાવિકભાઇ શાહ, ગોલ ફાઉન્ડેશન બાયોડેટાાં આ વિગતો હશે મહિને 425 ડોગબાઇટના કેસ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રખડતાં કૂતરાંઓનો ત્રાસ ઘણો છે. થોડા સમયમાં પહેલાં એક સાથે 40 લોકોને કરડવાનો બનાવ બન્યો હતો. આમ દર મહિને 425થી વધુ લોકોને કૂતરાં કરડે છે.
ફરિયાદ:અમરેલીમાં પતિએ કહ્યું નહીં કરતા પત્નીને લાફા ઝીંક્યા
અમરેલીના બટારવાડી વિસ્તારમાં પતિ દ્વારા પત્નીને માર મારી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગઈ કાલે સાંજે આશરે 5 વાગ્યાના સમયે અમરેલીના બટારવાડી વિસ્તારમાં રહેતી રેશમાબેન શકીલભાઈ ચૌહાણ (ઉ.વ.24)એ ફરિયાદ નોંધાવી હતી. કે, તેમના સાસુ દ્વારા તેમના વિરુદ્ધ અરજી કરાતા પોલીસે તેમને બોલાવ્યા હતા પરંતુ રેશમાબેન ત્યાં ન જતા તેમના પતિ શકીલ ઇકબાલભાઈ ચૌહાણ ઉશ્કેરાયા હતા, બાદ પત્નીએ ચીડવવાની ના પાડતા પતિએ ઉશ્કેરાઈ જઈ માર મારી ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે અમરેલી પોલીસે શકીલ ઇકબાલભાઈ ચૌહાણ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આયોજન:અમરેલીમાં એક સપ્તાહમાં રૂપિયા 75 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
અમરેલી જિલ્લામાં તા.1 માર્ચથી 8 માર્ચ દરમિયાન રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે આશરે રૂ. 75 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લામાં થયેલા આ વિકાસકાર્યોમાં શિક્ષણ, વીજળી, પીવાનું પાણી, જળસંચય-સિંચાઈ, માર્ગ અને મકાન, ગ્રામ વિકાસ તથા પુર સંરક્ષણ જેવા મહત્વના ક્ષેત્રોને પ્રાથમિકતા આપવામાં આવી છે. જેમાં અમરેલી શહેરમાં 124 વર્ષ જૂનો ગાયકવાડી શાસનકાળમાં નિર્મિત ઐતિહાસિક હેરિટેજ ક્લોક ટાવર શહેરની ઓળખ છે. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા રૂ. 3 કરોડના ખર્ચે ક્લોક ટાવર રિસ્ટોરેશન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં શહેરની શોભામાં વધારો થશે અને ઐતિહાસિક ધરોહરનું સંરક્ષણ પણ થશે. અમરેલી જિલ્લાના વરસડા ખાતે રૂ.42 કરોડના ખર્ચે તૈયાર થયેલી ઈશ્વરીયા જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ યોજના થકી અમરેલી, લાઠી અને લીલીયા તાલુકાના કુલ 50 ગામોને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ થશે, જેના કારણે ગ્રામજનોને મોટી રાહત મળશે, સાથે જ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્યમંત્રી વેકરીયાના હસ્તે નાની કુંકાવાવ અને સનાળા મુકામે સૌની યોજના લિંક-4 હેઠળ વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ યોજના અમલમાં આવતાં 200 હેક્ટર જેટલો ખેતી વિસ્તાર નર્મદાના પાણીથી લાભાન્વિત થશે, જેના કારણે ખેતી ઉત્પાદન વધશે, અમરેલી તાલુકાના ગામડાઓમાં કરોડોના ખર્ચે નવી પ્રાથમિક શાળાઓના પણ લોકાર્પણ કરાયા છે.
સાવરકુંડલાના દાધિયા પ્રાથમિક શાળા ખાતે શાળાના બાળકોને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકો ધ્રુવીકાબેન, ઇશીતાબેન, કિજલબેન, સંજયભાઈ વિગેરેએ પ્રાથમિક શાળાના ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓ બાળકોને માહિતી આપી હતી. શાળાના આચાર્ય મહેશભાઈ શેલાર દ્વારા બાળકોને કાર્યક્રમમાં ભાગ લેવા અને સફળતા મેળવવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. શાળાના બાળકોએ તૈયારી કરી શાળામાં આવી પોતાની પાસે રહેલી વેસ્ટ વસ્તુઓ માંથી મોડીફિકેશન કરી વિવિધ આકર્ષક વસ્તુઓ બનાવી હતી. છેલ્લે શિક્ષકો દ્વારા બનેલા વિવિધ પ્રોજેક્ટ માંથી સૌથી સરસ ત્રણ પ્રોજેક્ટોને નંબર આપી બાળકોને પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા. દાધિયા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે વેસ્ટમાંથી બેસ્ટ પ્રવૃત્તિનું આયોજન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ રોજબરોજના ઉપયોગ પછી ફેંકાઈ જતી વસ્તુઓમાંથી ઉપયોગી અને સુંદર વસ્તુઓ બનાવી પોતાની સર્જનાત્મકતા અને કુશળતાનો પરિચય આપ્યો હતો. વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિક બોટલ, જૂના કાગળ, કાર્ડબોર્ડ, ટીનના ડબ્બા તેમજ અન્ય વેસ્ટ સામગ્રીમાંથી પેન સ્ટેન્ડ, ફૂલદાની, રમકડાં અને વિવિધ શૈક્ષણિક મોડલ તૈયાર કરવામાં આવ્યા હતાં.
ભૂલકા પર ખતરો:વડિયા સુરગપરામાં વર્ષોથી જર્જરિત જવાહર બાલમંદિરનું બિલ્ડીંગ પડું પડું
વડીયાના સુરગપરા વિસ્તારમાં આવેલી વર્ષો જૂની જવાહર બાલમંદિરની ઇમારત હાલ જર્જરિત અવસ્થામાં હોવા છતાં હજુ સુધી તોડી પાડવામાં આવી નથી. જેના કારણે નજીકમાં ચાલતી બે આંગણવાડીઓમાં આવતાં નાના બાળકો અને તેમના વાલીઓ માટે જોખમ ઊભું થયું છે. અમરેલીના વડીયા સુરગપરા વિસ્તારમાં આવેલું જવાહર બાલ મંદિરનું બિલ્ડિંગ અત્યંત જર્જરિત થઈ ચૂક્યું છે. જેના કારણે સ્થાનિકોમાં ચિંતા અને રોષ છે. સુરગપરા વિસ્તારમાં આવેલી આ ઇમારત લાંબા સમયથી ઉપયોગ વગર પડી છે અને તેની હાલત અત્યંત જર્જરિત હોવાથી દીવાલોના પોપડા ખરી રહ્યા છે. આંગણવાડીમાં આવતા બાળકો અને વાલીઓ દરરોજ આ રસ્તેથી પસાર થતા હોવાથી ગમે ત્યારે અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. ઉપરાંત જર્જરિત ઈમારત આસપાસ ગંદકી સર્જાય છે. ગંદકીના કારણે દુર્ગંધ ફેલાય છે. આંગણવાડીમાં આવતા નાના બાળકોના આરોગ્ય પર ખતરો ઉભો થયો છે. સરપંચે જણાવ્યું હતું કે જોખમી હાલતમાં આવેલી આ ઈમારત અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે અને તેને તાત્કાલિક દૂર કરવા માટે પ્રયાસ કરવામાં આવશે. ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલાં જ આ જર્જરિત ઇમારતને તાત્કાલિક તોડી પાડવામાં આવે અને આસપાસ વધતી ગંદકી દૂર કરવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી છે.
આજે આખું ગુજરાત મેઘાણીમય છે:બગસરાની ભૂમિ ઐતિહાસિક ઘટનાઓથી સમૃદ્ધ : મોરારિબાપુ
બગસરામાં માનસ મેઘાણી કથાના છઠ્ઠા દિવસે આખો પંથક મેઘાણીમય બન્યું હતું. આ પ્રસંગે રામકથામાં મોટી સંખ્યામાં માનવ મેદની ઉમટી પડી હતી. મોરારિબાપુએ જણાવ્યું કે અનેક પ્રકારની ઐતિહાસિક ઘટનાઓથી સમૃદ્ધ એવી બગસરાની પવિત્ર ભૂમિને તેઓ પ્રણામ કરે છે. બાપુએ ઉમેર્યું હતું કે ગુજરાતમાં ભાગ્યે જ એવી કોઈ રાત હશે. જ્યારે ઝવેરચંદ મેઘાણીનું સ્મરણ ન થતું હોય, ભાગ્યે કોઈ રાત આવે ત્યારે કવિ કાગ અને દાદાનું સ્મરણ પણ જરૂર થાય છે. મેઘાણીજીના સાહિત્યનું મનોમંથન કોઈ સાધુએ કરવું જોઈએ તેવું પણ બાપુએ જણાવ્યું હતું. આજે નાનામાં નાનો માણસ પણ બગસરા તરફ નજર રાખે છે. જે દર્શાવે છે કે મેઘાણી સમગ્ર સમાજ માટે કેટલા પ્રિય છે. આજના સમયમાં આખું ગુજરાત મેઘાણીમય બન્યું છે. મેઘાણી પોતે એક એવા વિશાળ દરિયા જેવા છે જે દરિયાની અંદરથી મીઠી મીઠી વીરડી શોધી સમાજ સુધી પહોંચાડી છે.
આમ તો અમરેલી જિલ્લામાં રસ્તા પુલ અને મકાનના કામો તદન નબળા થઈ રહ્યા છે. પરંતુ સાવરકુંડલાના બાઢડામાં હદ તો એ વાતની થઈ કે પરા વિસ્તાર સાથે જોડતો પુલ બન્યાના 10 જ દિવસમાં ધરાશાયી થયો છે. આ માટે જવાબદારો સામે પગલાંની માંગ ગામ લોકોએ ઉઠાવી છે. સાવરકુંડલાના બાઢડામાં લામધારી નદી પર ગ્રામ પંચાયત હસ્તક રૂપિયા 5,00000ના ખર્ચે પરા વિસ્તારને જોડતો પુલ બનાવવામાં આવ્યો હતો. આ પુલનું કામ 10 દિવસ પહેલા જ પૂર્ણ થયું હતું. પરંતુ આટલા દિવસોમાં આજે આ પુલ અચાનક તુટી પડ્યો હતો. પુલ પાસે માટી કામ કરવામાં આવતું હતું. ત્યારે તે બેસી ગયો હતો. ગામ લોકોનો આક્ષેપ છે કે પુલ બનાવતી વખતે તદન નબળી કક્ષાનું મટીરીયરલ વપરાયું હતું. સ્થાનિક લોકોને અવરજવર માટે આ પુલ ઉપયોગી હતી. પરંતુ 5 લાખનો ખર્ચ પાણીમાં ગયો હતો. જવાબદારો સામે પગલાં લેવા માંગ પુલનું કામ ખુબજ નબળું થયું છે. માટીનું કામ ચાલુ હતું. ત્યાં જ પુલ બેસી ગયો છે. કામમાં માત્ર ભુકી વાપરવામાં આવી છે અને આઠ એમએમનું લોખંડ વપરાયું છે. જવાબદારો સામે પગલાં લેવાવા જોઈએ. > ગોવિંદભાઈ પટેલ, સ્થાનિક અગ્રણી
ભાસ્કર એક્સક્લુઝિવ:સાવરકુંડલાને હવે રોજ 8 એમએલડી પાણી શેલ દેદુમલ ડેમમાંથી મળશે
સાવરકુંડલા શહેર નજીક તાલુકાના હાથસણી ગામે આવેલ શેલ દેદુમલ ડેમમાંથી હવે રોજનું 80 લાખ લિટર પાણી પીવાના ઉપયોગ માટે મળશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી સાવરકુંડલાને કાયમી પાણીનો સ્ત્રોત મળી રહેશે. રૂપીયા 10.31 કરોડના ખર્ચે શહેર માટે પાણી શહેર અનામત રાખવાનો નિર્ણય સરકારે કર્યો હતો. સાવરકુંડલા શહેર માટે એક સીમાચિહ્નરૂપ નિર્ણય લેવામાં સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની સતત રજૂઆતોને સફળતા મળી હતી અને સાવર અને કુંડલા વિભાગને દરરોજ આઠ MLD એટલે 80 લાખ લિટર પીવાનું શુધ્ધ પાણી શેલ દેદુમલ ડેમમાંથી ફાળવવામાં આવશે. આ નિર્ણયથી શહેરની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ શહેરીજનો મળશે. આ નિર્ણયના પરિણામે એક હજાર ફૂટ ઊંડા ક્ષારયુક્ત પાણીથી મુક્તિ મળશે અને ઘરે ઘરે લોકોને શુદ્ધ જળ નાગરિકો મળશે. સાવરકુંડલા શહેરમાં અત્યાર સુધી એક હજાર ફૂટ ઊંડા બોરના હાઈ TDS ક્ષારયુક્ત પાણી પીવા મજબૂર હતા. જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હતું. પાણીએ જનતાની પાયાની જરૂરિયાતને સમજીને ડેમનું શુદ્ધ પાણી અપાવવા માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. જેના પરિણામે હવે નાગરિકોને ગુણવત્તા યુક્ત પાણી ઉપલબ્ધ થશે. પાણીની અછત હવે સાવરકુંડલા માટે ભૂતકાળ બનશે. દર વર્ષે ઉનાળો આવતા જ સાવરકુંડલામાં પાણીની વિકટ સ્થિતિ સર્જાતી હતી. તેનું હવે કાયમી નિરાકરણ આવ્યું છે. પાણી અનામત રાખવા નિર્ણયસાવરકુંડલા માટે વાર્ષિક 292 કરોડ લિટર પાણીના જથ્થાને અનામત રાખવાના નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત બોર યોજનાનું પાણી તો મળતું જ રહેશે.
આયોજન:અમરેલીમાં મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે બ્રાન્ડિંગ અને ડાયરેક્ટ માર્કેટીંગ તાલીમ અપાશે
અમરેલીમાં ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ અંતર્ગત સંચાલિત કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે મહિલા ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આ અંતર્ગત ફ્રેન્ડ્સ ઓફ વુમન વર્લ્ડ બેન્કિંગ (FWWB) સંસ્થા સાથે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર કરવામાં આવ્યો હતો. આ સમજૂતી કરાર યુનિવર્સિટીના કુલપતિ ડો. સી. કે. ટીંબડિયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો. આ MOU અંતર્ગત અમરેલી જિલ્લાના મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન, તાલીમ તેમજ તેમના ઉત્પાદનોનું મૂલ્યવર્ધન, યોગ્ય પેકેજિંગ, બ્રાન્ડિંગ અને ડાયરેક્ટ માર્કેટીંગ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આ પ્રસંગે મહિલા ખેડૂતો માટે ત્રણ દિવસીય માર્કેટીંગ કૌશલ્ય વર્કશોપનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્પાદનથી લઈને વેચાણ સુધીની સંપૂર્ણ પ્રક્રિયા અંગે વ્યવહારૂ તાલીમ અપાઇ હતી. કુલપતિ ડો. સી. કે. ટીંબડિયાએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી માત્ર પરંપરાગત પદ્ધતિ નથી. પરંતુ વૈજ્ઞાનિક અભિગમ સાથે જોડાયેલી એક સસ્ટેનેબલ ખેતી પદ્ધતિ છે. મહિલા ખેડૂતો જ્યારે પ્રાકૃતિક ખેતી સાથે માર્કેટીંગ કૌશલ્ય પણ વિકસાવે છે. ત્યારે તેઓ કૃષિ ક્ષેત્રમાં નવી દિશા આપી શકે છે. FWWB સાથેનો આ સહયોગ મહિલા ખેડૂતોને સફળ કૃષિ ઉદ્યમી તરીકે વિકસવામાં મદદરૂપ બનશે.
નર્મદા જિલ્લાના સાધુ સંતો અને વિશ્વ હિન્દુ પરિષદ સંત સમિતિ દ્વારા કલેક્ટર ને આવેદન આપવામાં આવ્યું જેમાં આગામી દિવસોમાં શરૂ થનારી પંચકોષી પરિક્રમાની અંદર પ્રાથમિક સુવિધાઓ કરવા હેતુ નાવડીના માત્ર 20 રૂપિયા રાખવામા આવે તે અમારી માગણી કરવામાં આવી છે. આ બાબતે અખિલ ભારતીય સંતસમિતિના નર્મદા જિલ્લા આધ્યક્ષ એવા સદાનંદ મહારાજે જણાવ્યું હતું કે માં નર્મદાજી ની પરિક્રમા યાત્રા આધ્યાત્મિક સાંસ્કૃતિક પરંપરા અનુસાર વર્ષોથી ચાલી રહી છે. પરંતુ થોડા વર્ષોથી અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે. વર્ષોથી માત્ર દસ રૂપિયામાં એક વ્યક્તિને રેંગણ ઘાટ થી રામપુરા કીડીમંકોડી ઘાટ પર લાવવામાં આવતા જે એક સેવાની ભાવના હતી. અત્યારે ચૈત્ર મહિનાની અંદર કોન્ટ્રાક્ટર સ્થાનિક લોકોને નહીં મળતા લાગણી દુબઈ રહી છે. સ્થાનિક લોકોની અપેક્ષા ઉચિત નથી માટે જિલ્લા વહીવટી પ્રશાસન સૌની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખીને માનવતાના ધોરણે પોતાનું કર્તવ્ય નિભાવે તે સમયની માંગ છે. નાવડી નું ભાડું માત્ર 20 રૂપિયા જ રાખવામાં આવે તે વિશ્વ હિન્દુ પરિષદ નો આગ્રહ છે સમાજને ધર્મના નામે લુંટ ચલાવી યોગ્ય નથી માટે પ્રશાસન સેવાની ભાવના રાખીને પોતાનું કાર્ય દીપાવે એ ખૂબ જરૂરી છે.
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં બે વર્ષ પહેલાં બનેલી સગીરા પર સામૂહિક દુષ્કર્મની ચકચારી ઘટનામાં રાજપીપળાની એડિશનલ સેસન્સ કોર્ટે સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે બંને આરોપીઓને તકસીરવાર ઠેરવી 20-20 વર્ષની સખત કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો છે. ઘટનાની વિગતો મુજબ, સાગબારા તાલુકાના ગૌતમ વસાવા અને રમેશ વસંત ઉર્ફે વિશાલ વસાવાએ ગત 16 માર્ચ 2022 ના રોજ સાંજના સમયે ભોગ બનનાર સગીરા જ્યારે તેના ઘરમાં એકલી હતી. ત્યારે બંને આરોપીઓએ તેનું મોઢું દબાવી, શારીરિક છેડછાડ કરી હતી અને તેને સળગાવી દેવાની ધમકી આપી બળજબરીપૂર્વક અપહરણ કરી ખેતરમાં લઈ ગયા હતા. ત્યાં સગીરાની મરજી વિરુદ્ધ બંને નરાધમોએ તેના પર સામુહિક દુષ્કર્મ કર્યું હતું. સામુહિક દુષ્કર્મ કર્યા બાદ બંનેએ અમે ડોન છીએ. જો આ બાબતે તેં કોઈને પણ વાત કરી તો તારું ઘર સળગાવી દઈશું. આ મામલે સાગબારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસ રાજપીપળાના એડિશનલ સેસન્સ જજ એ.વી.હિરપરાની કોર્ટમાં ચાલી જતા જિલ્લા સરકારી વકીલ જિતેન્દ્રસિંહ ગોહિલની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખી કોર્ટે ગૌતમ વસાવા અને રમેશ વસાવાને 20 વર્ષની કેદની સજા સાથે બંને આરોપીઓને રૂ. 70-70 હજારનો દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદની સજાનો હુકમ કર્યો છે.આ ઉપરાંત ભોગ બનનાર સગીરાને રૂ. 3 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. આદિવાસી સમાજની બહુલ વસતી ધરાવતાં નર્મદા જિલ્લામાં સગીરાઓ સાથે દુષ્કર્મના બનાવો વધી રહયાં છે. રાજપીપળાની કોર્ટે સામુહિક દુષ્કર્મના કેસમાં બે આરોપીને આજીવન કેદની સજા ફટકાર્યા બાદ ગુનેગાર આલમમાં ફફડાટ જોવા મળી રહયો છે.
SOGએ 1.46 લાખના મુદ્દામાલ સાથે 1ને પકડ્યો:વલસાડમાં મોપેડની ડિકીમાંથી 1.220 કિલો ગ્રામ ગાંજો કબજે
વલસાડમાં મોપેડની ડિકીમાં ગાંજા લઈને ફરતા આરોપીને પકડી પાડી એસઓજીએ કુલ રૂ. 1.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આગળની તપાસ વલસાડ રૂરલ પોલીસને સોંપાઇ છે. વલસાડ જિલ્લામાં એનડીપીએસના ગુનામાં આરોપીઓને પકડવા રેન્જ આઇજી અને જિલ્લા એસપીની સુચના મુજબ એસઓજી પીઆઇ એ. યુ. રોઝ અને તેમની ટીમ કામગીરીમાં હતી. તે દરમિયાન પારનેરા ગામ ટેકરા ફળિયા મુસ્લિમ સુન્નત જમાત કબ્રસ્તાનની બાજુમાંથી આરોપી કયુમ બાઉદ્દીન કુરેશી ઉ.વ. 29 રહે. પારનેરા ને તેના કબજાની સુઝુકી અવેનીસ મોપેડ નં. જીજે-15-ઇએ-4685 કિં. રૂ. 80,000ની ડિકીમાંથી ગેરકાયદે રીતે ગાંજાનો જથ્થો 1.220 કિલોગ્રામ કિં. રૂ. 61,000 અને એક ફોન કિં. રૂ. 5000 મળી કુલ રૂ. 1,46,000ના મુદ્દામાલ સાથે પકડી આરોપી સામે એનડીપીએસ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ વલસાડ રૂરલ પોલીસને સોંપવામાં આવી હતી.
ટેમ્પો પલટતા સર્જાયો અકસ્માત:દમણમાં ઓવરલોડ ટેમ્પો પલટતા પોલીસ હેડક્વાર્ટરની દીવાલ તૂટી
દમણના એરપોર્ટ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર સામે ગુરૂવારે બપોરે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઓવરલોડ કેબલના રોલ ભરેલો આઇશર ટેમ્પો અચાનક કાબૂ બહાર જઈ પોલીસ હેડક્વાર્ટરની કમ્પાઉન્ડ દીવાલ સાથે અથડાઇને પલટી ગયો હતો. પોલીકેબ કંપનીમાંથી કેબલના ભારે રોલ ભરેલો આઇશર ટેમ્પો નંબર DD01 Z 9501 મશાલ ચોક તરફ જઈ રહ્યો હતો. એરપોર્ટ રોડ પર આવેલા લાંબા વળાંક પાસે પહોંચતા ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. ટેમ્પામાં ક્ષમતા કરતાં વધુ વજનદાર કેબલ રોલ ભરેલા હોવાથી ચાલક વળાંક સુરક્ષિત રીતે કાપી શક્યો નહોતો. પરિણામે ટેમ્પાનો પાછળનો ભાગ પોલીસ હેડક્વાર્ટરની કમ્પાઉન્ડ દીવાલ સાથે જોરદાર રીતે અથડાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પો માર્ગ પર જ ગોથું ખાઈને ઊંધો વળી ગયો હતો. અકસ્માતના કારણે ટેમ્પામાં ભરેલા ભારે કેબલના રોલ રસ્તા પર નીચે ખાબકી ગયા હતા. અકસ્માતમાં પોલીસ હેડક્વાર્ટરની દીવાલનો ભાગ ધરાશાયી થતાં નોંધપાત્ર નુકસાન થયું છે. જોકે રાહતની વાત એ રહી કે આ ગંભીર અકસ્માત હોવા છતાં ટેમ્પા ચાલકનો આબાદ બચાવ થયો હતો. તેને હાથ-પગના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ પોલીસ કાફલો પીસીઆર વાન સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે પલટી ગયેલા ટેમ્માંથી રસ્તા પર પડેલા કેબલના રોલને હટાવ્યા હતા. ટ્રાફિક વ્યવસ્થા ફરી સામાન્ય કરી હતી.
વલસાડની દીકરી અને પારડીની સાંઢપોર પ્રાથમિક શાળાની શિક્ષિકા મેઘા પાંડેએ ચંડીગઢ ખાતે યોજાયેલી અખિલ ભારતીય મુલ્કી પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. મહિલા દિવસની આનાથી શ્રેષ્ઠ ઉજવણી બીજી કઈ હોઈ શકે? ગુજરાત રાજ્ય સેક્રેટરિયેટ વતી પ્રતિનિધિત્વ કરતા તેમણે આ રાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી છે. આ સફળતા પાછળ તેમની કઠોર મહેનત, શિસ્તબદ્ધ આહારશૈલી અને વલસાડના ટ્રેનર રોન આલ્મેડાનું વૈજ્ઞાનિક માર્ગદર્શન રહેલું છે. મેઘા પાંડેની આ સફરમાં તેમના પતિ પ્રજ્ઞેશ પાંડે મજબૂત આધારસ્તંભ બનીને સાથે રહ્યા છે. ઘર અને બાળકોની જવાબદારીઓ વચ્ચે પણ પતિ-પત્નીના સુંદર તાલમેલથી તેમણે સમાજ સામે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વલસાડની પારડી સાંઢપોર શાળાના મુખ્ય શિક્ષક કિર્તેશભાઈ ગોહિલ અને સમગ્ર શિક્ષકગણે તેમને આ ઐતિહાસિક સિદ્ધિ બદલ શુભેચ્છાઓ પાઠવી છે. સાંઢપોર પ્રાથમિક શાળાની શિક્ષિકા મેઘા પાંડેની આ સફળતા સાબિત કરે છે કે જો મક્કમ નિર્ધાર હોય તો ઉંમરના કોઈપણ તબક્કે સપના સાકાર કરી શકાય છે.
ફુલ મેજોરિટી ધરાવતી ભાજપ શાસિત વલસાડ પાલિકામાં બે ત્રણ જૂથ પડી જતાં છાશવારે ટકરાવની સ્થિતિ સામે આવી રહી છે.હાલમાં પ્રમુખ સામે કેટલાક સભ્યોનો ભારે વિરોધ છે. ગુરૂવારે બજેટ માટે પ્રમુખે બોલાવેલી ખાસ સામાન્ય સભામાં વિરોધી જૂથના ભાજપી સભ્યોનો ઉગ્ર રીતે ખુલ્લો બળવો બહાર આવ્યો હતો. ડોર ટુ ડોર કામગીરી માટે નિમણૂંક થયેલી નવી એજન્સીએ 8 દિવસ પહેલા ચાર્જ લીધાં છતાં સફાઇની કામગીરી ઠેકાણે નહિ પડવાનો મુદ્દો ઉઠાવી પ્રમુખ માલતી ટંડેલને પ્રશ્નો ઉઠાવી તેમના વિરોધીજૂથના સભ્યોએ મોરચો માડ્યો હતો. કામો ન થાય તો લોકોને શું જવાબ આપવા તે સવાલ પ્રમુખ સામે ઉઠાવ્યો હતો. પ્રમુખ મોડા પડતાં બજેટની સભાના સંચાલન માટે એક સભ્યએ અગાઉ પ્રમુખપદના દાવેદાર રહી ચૂકેલા મહિલા સભ્ય જેસ્ટિકા પટેલની અધ્યક્ષ તરીકે નામ જાહેર કરી દેતાં ઘણાં સભ્યોએ સમર્થન આપ્યું હતું. સભામાં શહેરના વોર્ડમાંથી કચરો ઉઠાવવા માટેની ડોર ટુ ડોર કામગીરી કેમ થતી નથી અને વોર્ડ નં.2માં રસ્તા સહિતના કામો કેમ થતાં નથી તેવા પ્રશ્નો નિતેશવશી, જ્યોત્સાના રાઠોડ, ઉર્વશી પટેલ,સોનલ પટેલ, હિતેશ પટેલ વિગેરે સભ્યોએ ઉઠાવી સફાઇ એજન્સીને તાત્કાલિક બ્લેક લિસ્ટ કરવા પ્રમુખ અને સીઓ પર પસ્તાળ પાડી હતી. જો કે સીઓએ સભ્યોને જવાબો આપી સમજ આપી હતી. સફાઇના મુદ્દે સભા ગરમાઇ હતી. પાલિકાનું 1974થી નહેરના પાણીના બિલનું દેવુંપાલિકાની સામાન્ય સભામાં પાણીની સુવિધાની ચર્ચામાં અમિત દેસાઇએ પ્રમુખને સવાલ કર્યો હતો કે,પાલિકાનું પાણીનું દેવું કેટલું છે. તેનો જવાબ આપતાં કાર્તિક દેસાઇએ જણાવ્યું કે,1974થી આ બિલની બાકી રકમનું બિલ બાકી ચાલતું આવેલું છે.જેમાં વ્યાજની રકમ દર માસે ઉમેરાતી આવી હતી.જેના કારણે મોટાભાગની રકમ ચઢતા રહેતાં ચક્રવર્તી વ્યાજનું ભારણ છે.વર્ષોથી નહેર વિભાગના પાણીના બિલ પાલિકા ભરવા સક્ષમ નથી તેવું સામે આવી રહ્યું છે.સી્ઓએ કહ્યું કે,આ મામલો સરકારની નિતી વિષયક બાબતનો છે. સફાઇનો મુદ્દો ગાજ્યો સભામાં નિતેશ વશીએ સફાઇ એજન્સીને બ્લેક લિસ્ટ કરવાની માગ સાથે મુદ્દો ઉઠાવી પ્રમુખને સવાલોના ઘેરામાં મૂકી દીધાં હતા. શહેરમાં નવી એજન્સી આવી પરંતું કચરાના ઢગલાં ઘણી્ જગ્યાએ જોવા મળી રહ્યા છે.તેની પાસે વાહનોની સુવિધા નથી, અગાઉ જે સફાઇની કામગીરી વાર્ષિક રૂ.1.70 કરોડમાં થતી હતી પરંતુ નવી એજન્સીને ડબલ પૈસા આપી 4.50 કરોડના ટેન્ડરથી કામગીરી સોંપવામાંઆવી છે પ્રમુખના પ્રશ્નને COનો જવાબ નથી માગ્યોવલસાડ પાલિકાની સભામાં નવી એજન્સી પાસેસફાઇના વાહનો કેટલા સાધનો છે પ્રમુખને પ્રશ્નકર્યો હતો ત્યારે સીઓને વચ્ચે પડી તેનો જવાબઆપવા જતાં સભ્ય નિતેશ વશીએ કહ્યું કે, સીઓનહિ, મારો પ્રશ્ન પ્રમુખને છે,પ્રમુખ જવાબઆપે.વશી દ્વારા એજન્સીને બ્લેક લિસ્ટ કરવા મુદ્દેછેવટે સીઓએ જવાબ આપ્યો હતો.
વાંસદાના નાની વાલઝર ગામે બનેલી ઘટના:આંબાવાડીમાં લગાવેલ ડ્રીપ ઇરીગેશનના પાઇપની ચોરી
વાંસદા તાલુકાના નાની વાલઝર ગામે આંબાવાડીમાંથી ચોરટાઓ ડ્રીપ ઇરીગેશન પાઈપની ચોરી કરી જતા વાંસદા પોલીસ મથકે વાડી માલિકે ફરિયાદ નોંધાવી હતી. વાંસદા તાલુકાના નાની વાલઝર ગામે તસ્કરોએ હવે ખેતીકામના સાધનોને નિશાન બનાવવાનું શરૂ કરતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. નાની વાલઝર પટેલવાડી વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ જયંતિલાલ પાટીદારની માલિકીની આંબાવાડીમાં સિંચાઈ માટે ડ્રીપ ઈરીગેશનની સુવિધા કરવામાં આવી હતી. ગત 9 માર્ચના રોજ રાત્રિ દરમિયાન ચોરટાઓએ આ વાડીમાં પ્રવેશી પાઈપની ચોરી કરી હતી. ચોરાયેલા આ પાઈપની અંદાજિત કિંમત રૂ. 6,000 જેટલી થાય છે. સવારે જ્યારે વાડી માલિક ખેતરે પહોંચ્યા ત્યારે પાઈપ ગાયબ હોવાનું જણાતા ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. આ મામલે પ્રવીણભાઈએ તાત્કાલિક વાંસદા પોલીસ મથકે તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા માટે આગળની તપાસ હાથ ધરી છે. ખેતરોમાંથી થતી આવી નાની-મોટી ચોરીઓને પગલે સ્થાનિક ખેડૂતોમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી છે. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં પાઇપ લાઇનની ચોરીની ઘટના અવારનવાર બનતી રહે છે ત્યારે તંત્ર તે દિશામાં કામગીરી કરે તે જરૂરી જણાય છે.
વિજલપોર વિસ્તારમાં રેલવે ઓવરબ્રિજનું નિર્માણ જાણે સ્થાનિકો માટે અભિશાપ બની ગયું છે. છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહેલું આ કામ પૂર્ણ થવાનું નામ લેતું નથી, જેના પરિણામે હજારો નાગરિકો દૈનિક ધોરણે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વહીવટી તંત્રની ઉદાસીનતા અને નેતાઓની ઈચ્છાશક્તિના અભાવે આ પ્રોજેક્ટ વિલંબનો પર્યાય બની ગયો છે. હાલ નવસારીમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી રહ્યો છે. આ કાળઝાળ ગરમી વચ્ચે જ્યારે રેલવે ફાટક બંધ થાય છે, ત્યારે વાહનચાલકોની લાંબી કતારો લાગે છે. ધગધગતા ડામર અને ઉપરથી વરસતા સૂર્યના તાપમાં લોકોએ કલાકો સુધી ફાટક ખુલવાની રાહ જોવી પડે છે. ખાસ કરીને નોકરીયાત વર્ગ માટે આ સ્થિતિ અસહ્ય બની છે. માત્ર બ્રિજ જ નહીં, પણ તેની આસપાસના અને નીચેના માર્ગોની દશા પણ અત્યંત દયનીય છે. મોટા ખાડાઓ અને ઉડતી ધૂળને કારણે વાહનચાલકોના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થયું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, કોઈપણ અધિકારી સ્થળ મુલાકાત લેવાની તસ્દી લેતા નથી. સ્થાનિક નેતાઓ માત્ર આશ્વાસનો આપી રહ્યા છે. રસ્તાના સમારકામ માટે કરવામાં આવતી રજૂઆતો બહેરા કાને અથડાઈ રહી છે.
બોર્ડની પરીક્ષા:ધો.12 વિ.પ્ર. સંસ્કૃત અને સા. પ્ર.માં SPCC ના પેપરો સરળ નીકળતા છાત્રોને હાશકારો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઇ રહેલી બોર્ડની પરીક્ષામાં ગુરૂવારે ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના સરળ રહેતા વિદ્યાર્થીઓના ચહેરા પર આનંદની લહેર જોવા મળી હતી. ધોરણ-12 સામાન્ય પ્રવાહ (કોમર્સ)માં ગુરુવારે સેક્રેટરિયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્રવ્યવહાર વિષયની પરીક્ષા યોજાઈ હતી. આ વિષયમાં ખાસ કરીને થિયરીના પ્રશ્નો પાઠ્યપુસ્તક આધારિત અને અપેક્ષા મુજબના પૂછાતા વિદ્યાર્થીઓએ રાહત અનુભવી હતી. જિલ્લામાં કુલ 1434માંથી 1426 છાત્રોએ હાજરી આપી હતી, જ્યારે 8 છાત્રો ગેરહાજર રહ્યા હતા.બીજી તરફ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત વિષયની પરીક્ષા યોજાઈ હતી. વિજ્ઞાન પ્રવાહના જટિલ વિષયો વચ્ચે સંસ્કૃતનું પેપર ઘણું સરળ અને સ્કોરિંગ રહ્યું હોવાનો પ્રતિભાવ વિદ્યાર્થીઓએ આપ્યો હતો. જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં કુલ 2249 નોંધાયેલા ઉમેદવારોમાંથી 2247 હાજર રહ્યા હતા અને માત્ર 2 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. સમગ્ર જિલ્લામાં પરીક્ષાનું વાતાવરણ શાંતિપૂર્ણ રહ્યું હતું. શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્રની સતર્કતાને કારણે ક્યાંય પણ ગેરરીતિ કે કોપીકેસનો એક પણ કિસ્સો નોંધાયો નથી. પેપર પૂર્ણ કરીને કેન્દ્રની બહાર નીકળતા છાત્રોમાં પેપર સારા ગયાનો પોતાના પર આત્મવિશ્વાસ છલકાતો હતો.
નવસારી શહેરમાં જાહેરમાં ફ્રૂટ ખરીદવા બાબતે થયેલી સામાન્ય રકઝક ઉગ્ર બની હતી અને બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. આ ઘટનામાં ચપ્પુ અને પથ્થરબાજી થતાં ત્રણથી વધુ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. નવસારી ટાઉન પોલીસે આ મામલે બન્ને પક્ષોની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. નવસારીમાં ફરિયાદી સાદીકખાન સાબીરખાન પઠાણે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમનો ભાઈ સલમાન અને સંબંધી ફારૂક ફ્રૂટ વિક્રેતા અઝમત ઝાયેદઅલીની લારી પર ફ્રૂટ ખરીદવા ગયા હતા. ફ્રૂટના ભાવ બાબતે બોલાચાલી થતા આરોપી અજમતે તેના મિત્રોને બોલાવી પથ્થર અને ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ફારૂકને માથામાં ગંભીર ઇજા થતા તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે સાદીકખાન અને સલમાનને પણ માથાના ભાગે ટાંકા આવ્યા છે. સામે પક્ષે ફ્રૂટ વિક્રેતા અઝમતઅલી ઝાયેદઅલી ખાને પણ વળતી ફરિયાદ નોંધાવી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ફારૂક શેખ અને સલમાન ખાન ફ્રૂટ લેવા આવ્યા ત્યારે ભાવ બાબતે ગાળાગાળી કરી હતી. આ દરમિયાન સાદીકખાન પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને ત્રણેયે ભેગા મળી વેપારીને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલમાં વેપારી સિવિલ હોસ્પિટલના પ્રિઝનર વોર્ડમાં સારવાર હેઠળ છે. નવસારી ટાઉન પોલીસે બન્ને પક્ષની ફરિયાદના આધારે ગુનો નોંધી ઘટનાસ્થળની મુલાકાત લીધી છે. પોલીસે ઇજાગ્રસ્તોના નિવેદન લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મનપા એક્શન મોડમાં:નવસારીમાં વેરો ન ભરતા 45 મિલકત સીલ કરાઇ
નવસારી મનપાએ શહેરમાં એક જ દિવસમાં વેરા બાકી મુદ્દે 45 જેટલી મિલકતો સીલ કરી હતી. વર્તમાન નાણાંકીય વર્ષ 2025-26 પૂર્ણ થવાને હવે 20 દિવસ પણ બાકી રહ્યાં નથી ત્યારે મહાનગરપાલિકાએ વેરા વસૂલાત કડક શરૂ કરી છે. ગુરુવારે તો અગાઉના વર્ષોની વધુ બાકી મુદ્દે કડકાઈ દાખવી એક જ દિવસમાં 45 જેટલી મિલકતો સીલ કરી દીધી હતી. આ મિલકતોમાં દુધિયા તળાવ શોપિંગ સેન્ટર વિસ્તારમાં આવેલી દુકાનો વધુ હતી. ઉપરાંત વોર્ડ-13ની પણ અનેક મિલકતો હતી. શોપિંગ સેન્ટરમાં તો સ્થળ ઉપર જ લાખો રૂપિયાની વસૂલાત કરાઇ હતી. અહીં ઉલ્લેખનીય છે જે છેલ્લા કેટલાક દિવસોમાં મનપાએ શહેરમાં વધુ વેરા બાકી મુદ્દે 350 જેટલી મિલકતો સીલ કરી છે. મનપા સૂત્રોએ દાવો કર્યો કે હાલ સુધીમાં વર્તમાન નાણાંકીય વર્ષની 77 ટકા વેરા વસૂલાત થઈ ગઈ છે, જે નાણાંકીય વર્ષ પૂર્ણ થતા 80 ટકાથી વધુ થશે.
ભાસ્કર એક્સક્લુસિવ:જિલ્લામાં એક વર્ષમાં કુપોષિત બાળકોની સંખ્યામાં 1937નો ઘટાડો
નવસારી જિલ્લામાં સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) અંતર્ગત કાર્યરત 1330 આંગણવાડી કેન્દ્રો દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે કરાયેલા પ્રયાસોના હકારાત્મક પરિણામો સામે આવ્યા છે. રાજ્ય સરકારના પોષણ અભિયાન અને પોષણ સંગમ કાર્યક્રમ હેઠળ છેલ્લા એક વર્ષમાં જિલ્લામાં કુપોષણના દરમાં નોંધપાત્ર ઘટાડો પણ જોવા મળ્યો છે. સરકારી આંકડાઓ મુજબ, માર્ચ 2025થી ફેબ્રુઆરી 2026 દરમિયાન બાળકોના પોષણ સ્તરમાં મોટો સુધારો થયો છે. જેમાં અતિ ગંભીર કુપોષિત બાળકોની વાત કરીએ તો માર્ચ 2025માં બાળકોનું પ્રમાણ 1.56% હતું, જે ફેબ્રુઆરી 2026માં ઘટીને માત્ર 0.48 % થઈ ગયું છે. તો મધ્યમ કુપોષિત બાળકોની વાત કરીએ તો ફેબ્રુઆરી 2026 સુધીમાં MAM બાળકોનું પ્રમાણ 6.4% થી ઘટીને 2.68% પર આવી ગયું છે. આમ, એક વર્ષ પહેલાં જ્યાં કુલ 5763 બાળકો કુપોષણની શ્રેણીમાં હતા, તે સંખ્યા હવે ઘટીને 3826 થઈ ગઈ છે. બાળકના જીવનના પ્રથમ 1000 દિવસ અત્યંત મહત્વના હોય છે. આ સમયગાળા દરમિયાન આંગણવાડી કેન્દ્રો પરથી યોગ્ય અને પૂરક પોષણ પૂરું પાડવામાં આવ્યું, અતિ ગંભીર કુપોષિત બાળકો માટે C-MAM (સમુદાય આધારિત પોષણ વ્યવસ્થાપન) કાર્યક્રમ અમલી બનાવ્યો અને જરૂરિયાત મુજબ બાળકોને સીએમટીસી અને એનઆરસી કેન્દ્રો પર સારવાર આપી પોષિત કરવાના પ્રયાસો હાથ ધરાયા. આ પગલાંને કારણે બાળકોના પોષણ સ્તરમાં મોટો સુધારો થયો છે. આંગણવાડીઓમાં ‘મંગળવાર’ બન્યો પોષણનો વાર કુપોષણ સામેની લડાઈમાં સામાજિક સહભાગીદારી વધારવા માટે દર મંગળવારે આંગણવાડીઓમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં પ્રથમ મંગળવારે સુપોષણ સંવાદ (ગોદ ભરાઈ), બીજા મંગળવારે બાળતુલા (વજન-ઊંચાઈ માપણી), ત્રીજા મંગળવારે અન્નપ્રાશન અને ચોથા મંગળવારે પૂર્ણા દિવસ ઉજવીને કિશોરીઓ અને માતાઓને આરોગ્ય શિક્ષણ આપવામાં આવે છે. આંગણવાડી કેન્દ્રોના સચોટ આયોજનથી નવસારી જિલ્લો ‘સુપોષિત’ બનવા તરફનવસારી જિલ્લામાં હાલ 0 થી 6 વર્ષના બાળકો, સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓને વિવિધ સરકારી યોજનાનો લાભ આંગણવાડી કેન્દ્રો દ્વારા સીધો મળી રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્રના આ સચોટ આયોજનને કારણે નવસારી હવે સુપોષિત જિલ્લા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે.> કોમલબેન ઠાકોર, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર, આઇ.સી.ડી.એસ., નવસારી
ભાસ્કર એક્સક્લુસિવ:જીવાતથી ફ્લાવરિંગ, કણીની અવસ્થાએ નુકસાની, વળી અતિશય ગરમીથી બાજી વધુ બગડી
નવસારી જિલ્લામાં ચાલુ સાલ કેરીના પાકમાં થ્રીપ્સ જીવાતનો ઉપદ્રવ ખુબ વધતા અનેક વિસ્તારોમાં પાક ખૂબ ઓછો ઉતરશે એવી જાણકારી બહાર આવી છે. જીવાત સાથે માર્ચના પ્રથમ પખવાડિયામાં જ પડતી ભારે ગરમી પણ પાક ઉપર અસર કરશે. નવસારી જિલ્લાના મુખ્ય પાકોમાં ડાંગર અને કેરીનો છે. જિલ્લામાં 35 હજાર હેક્ટરમાં કેરીનું પ્લાન્ટેશન છે. છેલ્લા 15 થી 20 વર્ષમાં પ્લાન્ટેશનમાં ભારે વધારો થયો છે. જોકે છેલ્લા ત્રણ વર્ષથી વાવાઝોડું, કમોસમી વરસાદ, અયોગ્ય વાતાવરણ, જીવાત જેવા કારણોથી પાક ખૂબ ઓછો ઉતરી રહ્યો છે. જીવાતમાં થ્રીપ્સ નામની જીવાત જોવા તો મળી રહી હતી પણ ચાલુ સાલ આ જીવાત ખુબ વધુ પાકમાં ફેલાઈ હોવાની જાણકારી બહાર આવી છે. ફેબ્રુઆરી મધ્ય બાદ તાપમાન વધતા જીવાત વધી હતી, જેના કારણે કરોડો રૂપિયાના કેરીના પાક ઉપર ખતરો પેદા થયો છે. થ્રીપ્સ સાથે કેટલીક જગ્યાએ ઇયળ પણ પાકમાં નજરે પડી રહી છે. જ્યાં જીવાતને લઈ કેરીના પાક ઉપર વિપરીત અસર પડી છે ત્યાં હાલ માર્ચના પ્રથમ પખવાડિયાના જ રેકર્ડબ્રેક તાપમાન ઉપર જઈ ગરમી પડતા સનસ્ટ્રોક પણ પાક ઉપર હાલના તબક્કે વિપરીત અસર પાડી રહ્યાનું ખેડૂતો જણાવી રહ્યાં છે. ચીકુ જેવા કલરની કેરી થાય છે અગાઉના વર્ષ કરતા થ્રીપ્સ જીવાત વધુ છે અને તેના કારણે નુકસાની છે, કેરી ચીકુ જેવા કલરની પણ થાય છે. વધુમાં અતિશય ગરમી જે પડી રહી છે તેના કારણે કેરીમાં પીળા ડાઘા પણ પડી રહ્યા છે. > સંજય નાયક, પ્રગતિશીલ ખેડૂત, ગણદેવા ફેબ્રુઆરી મધ્ય બાદ ઉપદ્રવ વધ્યોચાલુ સાલ અગાઉના વર્ષ કરતા થ્રીપ્સ જીવાતનો ઉપદ્રવ વધેલો જોવા મળે છે. ફેબ્રુઆરી મધ્ય બાદ તાપમાન વધતા જીવાતનો ઉપદ્રવ વધ્યો છે. કેરીના પાકને નુકસાની છે પણ ચોક્કસ કેટલી તે કહીં શકાય નહીં. >દિનેશ પડાલીયા, બાગાયત અધિકારી છેલ્લા 3-4 વર્ષથી પાકમાં નુકસાનને લઇ ખેડૂતોમાં હવે પુનર્વિચાર નવસારી જિલ્લામાં આજથી 20 વર્ષ અગાઉ કેરીનું પ્લાન્ટેશન પ્રમાણમાં ઓછું હતું. ડાંગરનું વધુ હતું પણ લેબરની તથા સમયની પણ ઓછી જરૂર સાથે આવક પણ સારી મળવાની આશાએ હજારો ખેડૂતો કેરીની ખેતી ભણી વળ્યા અને વાવેતરમાં ખૂબ વધારો થયો. આમ તો અગાઉના અનેક વર્ષોમાં ખેડૂતોને સારું વળતર મળ્યું પણ હતું. જોકે છેલ્લા ત્રણ ચાર વર્ષે સ્થિતિ બદલી છે. જીવાત, બદલાતા સતત વાતાવરણ, પ્રદુષણ વગેરે કારણોને લઇ ખેડૂતોના મોટા વર્ગને ખાસ આવક મળી નથી. આ સ્થિતિમાં ખેડૂતો આ પાક માટે પુનર્વિચાર શરૂ કર્યો છે. ભાસ્કર નોલેજફૂલથી ફળ આવવા તબક્કામાં જીવાત નિયંત્રણ માટે આટલું કરવુંફૂલોથી ફળ આવવાના તબક્કા દરમિયાન થ્રીપ્સનું ઉપદ્રવ વધારે જોવા મળે છે. થ્રીપ્સના બચ્ચા અને પુખ્ત કીટકો નાની કુમળી પીલવણી, મોર ઉપરના ફૂલો, અને ફળધારણ થયેલ કુમળા ફળોમાંથી રસ ચૂસે છે જેના પરિણામે પાંદડાની કિનારીઓ ઉપર તરફ વળાંક લે છે, વૃદ્ધિ અટકે છે, ફુલ ખરીને મોર સુકાઇ જાય છે અને ફળની સપાટી ચીકુના કલર જેવા ડાઘા જોવા મળે છે, જેના કારણે અકાળે ફળ ખરી પડે છે. થ્રીપ્સ જીવાતના નિયંત્રણ માટે બુફ્રોફેઝિન 25 ઈસી, 2 મિલી અથવા થાયોમિથોક્ઝામ 25 ડબલ્યુજી, 0.3 ગ્રામ અથવા લેમડા સાયહેલોથ્રીન 5 ઈસી 1 મિલી અથવા ટોલ્ફેનપાયરીડ 15 ઈસી 2 મિલી સાથે નીમ ઓઈલ 1500 પીપીએમ 1 મિલી પ્રતિ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવું. (કૃષિ યુનિ.ના તજજ્ઞ દ્વારા કરાયેલ ભલામણ)
ચોરીનો મામલો આવ્યો સામે:દહેજની માધવ ઇન્ડસ્ટ્રિઝમાંથી 2.66 લાખના મટિરિયલની ચોરી
દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિસ્તારમાં આવેલ માધવ ઇન્ડસ્ટ્રીઝમાંથી અજાણ્યા ચોરોએ આશરે રૂ. 2.66 લાખના સ્ટેઇનલેસ સ્ટીલ સહિત અન્ય મટીરીયલની ચોરી કરી જતા દહેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. વાવ ગામની સીમમાં આવેલ માધવ ઇન્ડસ્ટ્રીઝમાં ખુલ્લી જગ્યાએ ફેબ્રિકેશન માટે રાખવામાં આવેલ મટીરીયલ ગાયબ થયાનું સામે આવ્યું છે. કંપનીમાં પ્લાન્ટના ફેબ્રિકેશન અને બાંધકામનું કામ ચાલી રહ્યું હોવાથી વિવિધ કોન્ટ્રાક્ટરો માટે એસ.એસ. ફ્લેન્જ, પાઈપ, ચેનલ, રેડ્યુસર અને વેલ્ડિંગ કેબલ સહિતનું મટીરીયલ કેન્ટીન પાસે ખુલ્લી જગ્યાએ રાખવામાં આવ્યું હતું. 9 માર્ચની રાત્રે મટીરીયલ સ્થળ પર હતું, પરંતુ 10 માર્ચની સવારે કામદારો કામે આવ્યા ત્યારે મટીરીયલ ગાયબ હોવાનું જાણવા મળ્યું. તપાસ કરતા ચાર ઇંચ તથા છ ઇંચના એસ.એસ. ફ્લેન્જ, પાઈપ, ચેનલ, 50 મીટર વેલ્ડિંગ કેબલ અને રેડ્યુસર સહિત કુલ રૂ. 2,66,400 જેટલા મટીરીયલની ચોરી થયાનું સામે આવ્યું હતું.
સાવલી તાલુકાના લસુન્દ્રા ગામે શાર્પ પેટ્રોકેમ નામની કંપની આવેલી છે. જેમાં જાણવા મળ્યા મુજબ પેટ્રો પ્રોડક્ટનું ઉત્પાદન થાય છે. સાથે સાથે વિવિધ ક્રૂડનું ડિસ્ટિલેશન પણ થાય છે. હાલ આ કંપની બંધ હાલતમાં છે. પરંતુ કંપનીમાં વિવિધ રસાયણો કેમિકલોના બેરલો ટાંકીઓ હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન ગુરુવારે સવારના સમયે કંપનીમાં કોઇ ઉત્પાદનની પ્રક્રિયા વેળાએ ગેસ લીકેજ થયો હતો. તેના પગલે આજુબાજુના એકમમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. રાહદારીઓને પણ શ્વાસ લેવામાં તકલીફ અને ગળામાં બળતરા તેમજ ચચરાટ થતો હોવાનું જોવા મળ્યું હતું. બનાવના પગલે કંપનીમાં હાજર કામદારોએ પ્રાથમિક રીતે પાણી રેતી કોથળા નાખીને ગેસ લીકેજને રોકવાના પ્રયાસો કર્યા હતા. બનાવના પગલે મંજુસર પોલીસને જાણ થતાં તે પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને બનાવ બાબતે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ફાયરબ્રિગેડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને જીપીસીબીનો સંપર્ક કરીને તેમને પણ કંપની ખાતે બોલાવ્યા હતા ત્રણેય વિભાગોએ ગેસ લીકેજનું મુખ્ય કારણ તેમજ કંપનીમાં વપરાતા કેમિકલો મુદ્દે તપાસ હાથ ધરી હતી. બાદ સાંજે ચાર વાગ્યે અચાનક કંપનીમાં આગ ભભૂકી ઉઠતાં ભારે દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે ફરી એકવાર આ કંપની શંકાના દાયરામાં આવી છે. આ આગ લાગી હોવા છતાં કંપનીના માલિકો અહીં ફરકયા પણ ન હતા અને માત્ર કામદારો હાજર હતા. તેઓ કંઈ બોલવા તૈયાર ન હતા. મંજુસર પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે. જીપીસીબીના દફતરે બંધ હોવા છતાં કંપની રાત્રે ધમધમતાં આશ્ચર્ય સાવલીના લસુન્દ્રા રોડ પર આવેલ શાર્પ પેટ્રોકેમ કંપની જીપીસીબી વિભાગના દફતરે બંધ છે. છતાં આશ્ચર્યજનક રીતે આ કંપની રાત્રે ધમધમતી હતી અને વિવિધ કેમિકલો સ્ટોર થતા હતા. તેમ છતાંય તંત્રનું ધ્યાન ગયું ન હતું. અને વારે ઘડીએ ગેસ લીકેજ અને આગના બનાવો બનતા રહે છે. પરંતુ તંત્ર દ્વારા કોઇ નક્કર કામગીરી થતી નથી. બંધ હાલતમાં રહેલી કંપનીમાં સ્ફોટક કેમિકલ્સનો જથ્થો તપાસનો વિષય છેકંપની બંધ હાલતમાં છે અને આટલો મોટો જથ્થો કેવી રીતે સ્ટોર કરવામાં આવ્યો છે તે તપાસનો વિષય છે. પરંતુ સવારમાં ગેસ લીકેજ થયો હતો અને સાંજે આગ લાગી હતી. તેવો સરપંચ દ્વારા ફોન કરવામાં આવતાં અમે અહીંયા આવીને તપાસ કરતાં સોલ્વન્ટ લીકેજના કારણે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. > આર એમ પટેલ, ઇન્ચાર્જ સર્કલ ઓફિસર કંપનીમાં બે વર્ષ પહેલાં પણ ગેસ લીકેજ થતાંગામને ખાલી કરવાનો નિર્ણય લેવાયો હતોબે વર્ષ અગાઉ પણ આ કંપનીમાં રાત્રિના સમયે ગેસ લીકેજ થયો હતો. તેના પગલેઆજુબાજુની કંપનીઓના કામદારોને છોડી મૂકવામાં આવ્યા હતા. જો ગેસ પર કાબૂ નામેળવી શક્યા હોત તો લસુન્દ્રા ગામને ખાલી કરવાનો નિર્ણય પણ તંત્ર દ્વારા લેવાયોહતો. મોટા પ્રમાણમાં સ્ફોટક કેમિકલો આ કંપનીમાં સંગ્રહ કરવામાં આવેલ છે. જો તંત્રદ્વારા તટસ્થ તપાસ કરાય તો મસ મોટું કૌભાંડ બાહર આવે તેમ છે. આ કેમિકલોનાબેરલો સ્ટોર કરવા માટેની પરમિશન છે કે કેમ ? તે પણ તપાસનો વિષય છે.
પ્રભારીની અધ્યક્ષતામાં પરિચય બેઠકનું આયોજન:ભરૂચ જિલ્લા ભાજપના સંગઠનની નવી ટીમની પરિચય બેઠક યોજાઇ
ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનની રચનામાં મોટા નેતાઓના માનીતાઓના પત્તા કાપી નાખવામાં આવતાં ભારેલા અગ્નિ જેવો માહોલ છે. પક્ષમાં ચાલી રહેલાં આંતરિક વિખવાદ વચ્ચે ગુરૂવારના રોજ સંગઠનની ટીમની પરિચય બેઠક મળી હતી. મકતમપુર સ્થિત જિલ્લા પંચાયત પ્રમુખના નિવાસે આ બેઠક મળી હતી. જેમાં જિલ્લાના સંગઠન પ્રભારી અને વડોદરાના મ્યુનિસિપલ કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજા હાજર રહયાં હતાં. જિલ્લા ભાજપના પ્રમુખની રચનાના એક વર્ષ બાદ જિલ્લા સંગઠનની જાહેરાત કરવામાં આવી છે. નવા 48 હોદ્દેદારોની વરણી કરાઇ છે જેમાંથી માત્ર 5 જ લોકોને રીપીટ કરવામાં આવ્યાં છે જયારે 43 નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. નવા સંગઠનમાં જુના જોગીઓના પત્તા કપાઇ જતાં ભારેલા અગ્નિ જેવો માહોલ જોવા મળી રહયો છે. ભાજપમાં ઉકળતા ચરૂ વચ્ચે ગુરૂવારના રોજ જિલ્લા પંચાયત પ્રમુખના બંગલે નવી ટીમની બેઠક મળી હતી. જેમાં જિલ્લા સંગઠન પ્રભારી પરાક્રમસિંહ જાડેજા હાજર રહયાં હતાં. બેઠક જિલ્લા ભાજપના નવનિયુક્ત મહામંત્રીઓ, ઉપપ્રમુખો, મંત્રીઓ, જિલ્લાના તમામ 14મંડળોના પ્રમુખો, અન્ય હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. નવી સંગઠનની આ પ્રથમ સંયુક્ત બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ સક્રિય બનાવવાની દિશામાં મનોમંથન થયું હતું. પરાક્રમસિંહ જાડેજાએ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીની આગેવાનીમાં તમામ હોદ્દેદારો અને કાર્યકરોને ચૂંટણીલક્ષી સક્રિયતા દાખવવા આહ્વાન કર્યું હતું. તેમણે વર્ષ 2021 ની ચૂંટણી કરતાં પણ વધુ બહુમતી સાથે ભરૂચ જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકામાં ભવ્ય જીત મેળવવાના ધ્યેય સાથે વ્યૂહરચના ઘડવા પર ભાર મૂક્યો હતો. શુક્રવારે નેત્રંગ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમ અને શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ભરૂચ જિલ્લાના પ્રવાસના આયોજન અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
ફરિયાદ નોંધાઈ:કડીથી મહારાષ્ટ્ર મોકલાઇ રહેલો રૂ. 38.45 લાખનો પામ તેલનો જથ્થો સગેવગે કરાયો
ગાંધીનગર ના કડી થી મહારાષ્ટ્ર જતા પામોલીન તેલનો જથ્થો ટેન્કર ચાલકે 38.45 લાખનું પામ તેલ ટેન્કર ચાલકે સગેવગે કરી દીધું હતું. ખાલી ટેન્કર અંકલેશ્વરની આરામ હોટલ પાસે મૂકી ફરાર થઇ ગયો હતો. ઘટના અંગે ટ્રાન્સપોર્ટ સંચાલક દ્વારા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વાપી ખાતે રહેતા અનિલ મિશ્રા એ પોતાના ટેન્કર ડ્રાઇવર સાજીદ અલી મોહમ્મદ ફારૂક આપ્યું હતું જે ગત 8 મી માર્ચના રોજ કડી કલોલ ખાતે આવેલ જી-1 એગ્રો પ્રોડક્ટ લિમિટેડ કંપની માંથી પામોલીન તેલ ભરી મહારાષ્ટ્ર ના બેલાપુર સ્થિત આનંદ ઇન્ડસ્ટ્રીઝ ખાતે જવા માટે નીકળ્યું હતું. દરમિયાન ચાલક દ્વારા રસ્તા માં પોતાના આર્થિક ફાયદો સારું ટેન્કર માં રહેલા 28350 લીટર પામોલીન તેલનો જથ્થો બારોબાર કોઈ જગ્યા એ વેચી નાખી સગેવગે કરી નાખ્યો હતો. 10 મી માર્ચ રાત્રી ના માંડવા ટોલ થઇ અંકલેશ્વર હાઇવે પર આવેલ આરામ હોટલ કમ્પાઉન્ડ માં ટેન્કર બિનવારસી હાલતમાં મૂકી ફરાર થઇ ગયો હતો. ટેન્કર ચાલક ફોન સ્વિચ ઓફ કરી દીધા બાદ ટેન્કર ના માલિક અનિલ મિશ્રા ના ફોન ના ઉઠાવતા તેને શંકા જતા જીપીએસ લોકેશન આધારે તેઓ અંકલેશ્વર ની આરામ હોટલ ખાતે પહોંચ્યા હતા ગાંધીનગર ના કડી થી મહારાષ્ટ્ર જતા પામોલીન તેલનો જથ્થો ટેન્કર ચાલકે 38.45 લાખનું પામ તેલ ટેન્કર ચાલકે સગેવગે કરી દીધું હતું. જ્યાં ટેન્કર ચેક કરતા અંદર થી પામ તેલ સગેવગે થઇ ગયું હતું. આ અંગે ટેન્કર ચાલક સાજીદ અલી મોહમ્મદ ફારૂક વિરુદ્ધ ટેન્કર માલિક અનિલ મિશ્રા દ્વારા 38.54 લાખ રૂપિયા ના પામ તેલ ને સગેવગે કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા બદલ ફરિયાદ આપતા બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.
વેધર રિપોર્ટ:ભરૂચ જિલ્લાનું તાપમાન 36 ડિગ્રી થતાં ગરમી વધી
ભરૂચ જિલ્લામાં ધીરે ધીરે ગરમીમાં વધારો થઈ રહ્યો છે. જેમાં છેલ્લા એક સપ્તાહથી અંદાજે સરેરાશ 1 ડિગ્રીનો વધારો થઈ રહ્યો છે. જેના કારણે દિવસ દરમિયાન આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ગરમી વધતાં લોકો બપોરે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. બીજી તરફ ગરમીના કારણે એસી, કુલરનો ઉપયોગ પણ વધી રહ્યો છે. આમ ભરૂચ જિલ્લાનું દિવસ દરમિયાન મહત્તમ તાપમાન વધીને 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી નોંધાયું હતું. ગરમી વધતાં ભેજનું પ્રમાણ ઘટીને 13 ટકાની આસપાસ રહ્યું હતું. પવનની ગતિ વધીને 19 કિમી પ્રતિ કલાકની આસપાસ રહી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 42 ડિગ્રી થવાની સંભાવના છે. ગરમીમાં વધારો થતાં ખેડૂતોને ખેતી પાક માં જરૂરિયાત મુજબ પિયત આપવા ભલામણ કરવામાં આવી છે. સાથે પવનની ગતિ ને ધ્યાને લઈને ખેતી પાકમાં દવાનો છંટકાવ કરી શકશે.

31 C