સંસદના શીતકાલિન સત્રમાં 'વિકસીત ભારત-રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન (ગ્રામીણ) જી રામ જી' બિલ વિપક્ષના વિરોધ વચ્ચે પસાર થયું છે. આ નવા અધિનિયમ હેઠળ, ગ્રામીણ પ્રજાને મળતી રોજગારની ગેરંટી 100 દિવસથી વધારીને 125 દિવસ કરવામાં આવી છે, જે દેશના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા પરિવારોને સીધો ફાયદો પહોંચાડશે. સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયાએ બુધવારે પત્રકારો સાથેની વાતચીતમાં 'વિકસીત ભારત જી રામ જી આજીવિકા મિશન' અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે અગાઉના અધિનિયમ એટલે કે નરેગા યોજના હેઠળ બેરોજગારી ભથ્થું મેળવવા માટે અનેક આકરી શરતોનું પાલન કરવું પડતું હતું. જોકે, હવે 'જી રામ જી અધિનિયમ 2025'માં આ તમામ પ્રતિબંધો દૂર કરાયા છે. આથી, કામ માંગ્યા પછી જો રોજગાર ન મળે તો બેરોજગારી ભથ્થું આપોઆપ ચૂકવાશે. આનાથી રોજગારનો અધિકાર કાયદાકીય અધિકાર બની જશે. અગાઉ સરકારની આ યોજના હેઠળ કામ કરનાર શ્રમિકોને વેતન ન મળ્યું હોવાની વ્યાપક ફરિયાદો થતી હતી. પરંતુ હવેથી વેતનની ચુકવણીમાં વિલંબના દરેક દિવસનું વળતર વેતન સાથે ચૂકવાશે. આ ઉપરાંત, જી રામ જી આજીવિકા મિશનમાં ગ્રામજનોની ભાગીદારી અનિવાર્ય રહેશે. આ મિશન હેઠળ જળ સુરક્ષા અને સંરક્ષણ સંબંધિત કામો, ગ્રામીણ માળખાકીય સુવિધાઓ, આજીવિકા વૃદ્ધિ અને આબોહવા પરિવર્તન તથા પ્રતિકૂળ હવામાન સામે પ્રતિકારકતાના કામો કરવામાં સરળતા રહેશે. આ ચારેય ક્ષેત્રો મળીને વિકાસ, સશક્તિકરણ અને ટકાઉ આજીવિકાનો આધાર બનશે. આ અધિનિયમમાં રાજ્ય સરકારને વાવણી અને લણણી સંબંધિત કૃષિ પ્રવૃત્તિઓ માટે 60 દિવસની અવધિ નક્કી કરવાની સત્તા રહેશે. નવા અધિનિયમના કારણે વહીવટી ખર્ચની મર્યાદા 6 ટકાથી વધારીને 9 ટકા કરવામાં આવી છે, જેથી નરેગા હેઠળ ચાલી રહેલા તમામ કામો બંધ નહીં થાય અને કામમાં પણ અડચણ આવશે નહીં. સંસદના શીતકાલિન સત્ર દરમિયાન વિપક્ષ કોંગ્રેસના નેતાઓએ જી રામ જી યોજનાનો સખત વિરોધ કર્યો હતો. તેમ છતાં, સંસદમાં આ બિલ બહુમતીથી પસાર થતાં તે કાયદો બન્યો છે. હિંમતનગર ખાતે યોજાયેલ સાંસદ સાથેની વાતચીત દરમિયાન હિંમતનગર ધારાસભ્ય વી.ડી. ઝાલા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ સહિત સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ડિસેમ્બર 2025ની એ ઠંડી રાત હતી. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ ભવનમાં માદુરો અને તેમનાં પત્ની ઊંઘતાં હતાં. બરાબર એ જ સમયે અમેરિકાની સેના ત્રાટકી. આંતરરાષ્ટ્રીય કાયદાને લાત મારી, કોઈપણ લડાઈ વગર, એક દેશના રાષ્ટ્રપતિ અને તેમનાં પત્નીને બેડરૂમમાંથી ઊઠાવી લીધાં. અમેરિકાએ કહી દીધું છે કે હવે વેનેઝુએલાનું ઓઇલ અમારું છે. આ વેનેઝુએલાનું સત્તા પરિવર્તન નથી પણ ટ્રમ્પની ખુલ્લેઆમ કોઈ દેશ અને તેના સંસાધનો હડપી લેવાની નીતિ છે. ગુજરાતમાં સવારે નવથી પાંચની જોબ કરીને ઘર ચલાવતા વ્યક્તિને કે સુરતના વરાછાની સાંકડી ગલીમાં હીરા ઘસતા રત્નકલાકારને એ જાણવું જરૂરી છે કે વિશ્વમાં શું ખેલ ખેલાઈ રહ્યા છે. કારણ કે તેની અસર તમામ લોકોનાં રસોડામાં રહેલા તેલના ડબ્બાથી લઈને બાઈક કે ગાડીમાં પૂરાતાં પેટ્રોલ-ડીઝલના ભાવ પર પડી શકે છે. ટ્રમ્પની ગુંડાગર્દીની અસર વેનેઝુએલામાં જ નથી અનુભવાઈ પણ ભારતના સ્ટોકમાર્કેટ અને સામાન્ય માણસના જીવન પર પણ અનુભવાઈ શકે છે. અમેરિકાએ બીજા દેશ પર કરેલું આક્રમણ એ માત્ર બે દેશોની સરહદોનો મામલો નથી, પણ આપણા ધંધા અને ગુજરાતીઓના ગજવા પર સીધો પ્રહાર છે. આજે વર્લ્ડ ઓર્ડરની પરિસ્થિતિ એવી છે કે વોશિંગ્ટનમાં બેઠેલા ડોનાલ્ડ ટ્રમ્પ છીંક ખાય તો ભારત સહિત દુનિયાના મોટા ભાગના દેશોને શરદી થઈ શકે છે. વેનેઝુએલામાં અમેરિકાએ રાતોરાત રાષ્ટ્રપતિ માદુરોને ઉઠાવી લીધા. આ કોઈ દેશના સાર્વભૌમત્વનો અંત નથી પણ ભારત સહિત દુનિયાની વિદેશ નીતિ પર પણ લટકતી તલવાર છે કારણ કે હમણા જ થોડા દિવસ ટ્રમ્પે કહ્યું હતું કે મોદી મારા સારા મિત્ર છે. તેમણે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ના ખરીદવું જોઈએ બાકી એક્શન લેવાશે. જો આવું થાય તો આપણા ધંધાનું શું? ટૂંકમાં ટ્રમ્પની રડારમાં પાંચથી છ દેશ છે જેના પર કબજો જમાવી લેવો છે. દુનિયા આ બધુ જાણે છે છતાં ચૂપ છે. આજે આપણે વાત કરવી છે કે ટ્રમ્પ આવા નિવેદનો અને એક્શન કેમ કરી રહ્યા છે? નમસ્કાર.... આજથી બરાબર 203 વર્ષ પહેલાં 1823માં જેમ્સ મનરો નામના એક અમેરિકન વ્યક્તિ સિદ્ધાંત લાવ્યા હતા જેનું નામ છે મનરો ડોક્ટ્રીન. જેનો અર્થ હતો કે અમેરિકા ખંડમાં યુરોપ દખલ ન કરે. આજે તે જ દેશના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેને બદલીને ડોનરો ડોક્ટ્રીન લાવ્યા છે. એ સમયે ઇરાદો અમેરિકાનું રક્ષણ કરવાનો હતો પણ આજે સોફ્ટ પાવરની જગ્યા ટ્રમ્પની હાર્ડ પાવરની ગુંડાગીરીએ લઈ લીધી છે. એટલે કે, બીજા દેશોની મિલકતો અને સંપ્રભુતા પર અમેરિકાનો કબજો. ચોંકાવનારી વાત એ છે કે જગત જમાદાર ટ્રમ્પ સામે બોલવાની કોઈ પણ દેશની હિંમત નથી. ટ્રમ્પની રડારમાં 6 દેશ અમેરિકન આક્રમણના ઈતિહાસની કાળી ચીઠ્ઠી અમેરિકાનો ઈતિહાસ ફંફોળીએ તો જાણવા મળે છે કે 1846થી 2026 સુધી અમેરિકાએ 16થી વધુ દેશો પર સીધી અથવા આડકતરી રીતે આક્રમણ કર્યા છે. જેણે વિશ્વની ઈકોનોમીને હચમચાવી દીધી હતી. નાનાં ઓપરેશન્સની વાત કરીએ તો 1950 પછી અમેરિકાએ 400થી વધુ મિલિટરી ઓપરેશન કર્યાં છે જેની કોઈ મોટી અસર આપણા ઘરની તિજોરી સુધી થઈ છે. એક ગુજરાતી તરીકે આપણને સવાલ થાય કે આપણે કેટલા લેવાદેવા? આમાં આપણે શું નુકસાન? તો આપણે જાણવું જરૂરી છે કે આ ટ્રમ્પની કોઈ રાજરમત નથી પણ ઓન્લી બિઝનેસ છે. મોટા ભાગના લોકો કયા દેશ પર હુમલો કરે છે તે જ જાણે છે પણ એ નથી જાણતા કે ટ્રમ્પ આ બધુ ચૂંટણીમાં સતત મળતી હારને જીતમાં બદલવા માટે કરી રહ્યા છે. 20 જાન્યુઆરી 2026ના રોજ ટ્રમ્પનાં બીજા શાસનને એક વર્ષ પૂરું થાય છે. 2025માં અમેરિકામાં જૂદી જૂદી 9 ચૂંટણી યોજાઈ, જેમાં 33% ચૂંટણીમાં ટ્રમ્પની પાર્ટી જીતી છે અને 67%માં હારનો સામનો કરવો પડ્યો છે. યર ઓફ ઈલેક્શન્સમાં પણ મિસિસિપી, આયોવા અને વર્જિનિયામાં ટ્રમ્પના ભૂંડા હાલ થયા છે. લોકલ ઇલેક્શનમાં ભૂંડા હાલવર્જિનિયાના ગવર્નરની ચૂંટણીમાં હાર ન્યૂજર્સીના ગવર્નરની ચૂંટણીમાં હાર ન્યૂયોર્કના મેયરની ચૂંટણીમાં હાર સિનસિનાટીના મેયરની ચૂંટણીમાં હાર પીટ્સબર્ગના મેયરની ચૂંટણીમાં હારવાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સના ભાઈની ભૂંડી હાર સિનસિનાટી મેયર ચૂંટણીમાં અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ અને ભારતના જમાઈ જેડી વેન્સના ભાઈ કોરી બોમેનની ભૂંડી હાર થઈ અને ડેમોક્રેટ અફતાબ પુરેવાલ ફરીથી મેયર તરીકે ચૂંટાયા. સામેની બાજુ હાર્ડકોર રિપબ્લિકન ગઢમાં પણ તિરાડો પડી છે. હારની બાજી જીતવા ટ્રમ્પનાં હવાતિયાં 9 મહત્વની ચૂંટણીની આપણે વાત કરી તેને યર ઓફ ઈલેક્શન કહેવાય જે રાષ્ટ્રપતિ ચૂંટાય પછી ગવર્નર અને બીજા પદો માટે થાય છે. એ પછી સૌથી મહત્વની ચૂંટણી જેને મિડ ટર્મ ઈલેક્શન કહેવાય છે એ આવે છે. અમેરિકાના મિડ ટર્મ ઈલેક્શનનો ટ્રેન્ડ જોઇએ તો અત્યાર સુધી સત્તા પક્ષ જ મિડ ટર્મમાં હાર્યો છે. જાણીને નવાઈ લાગશે પણ આ જ વર્ષે મિડ ટર્મ ઈલેક્શન છે. ટૂંકમાં અમેરિકન વલણ અને ભૂતકાળ મુજબ તો ટ્રમ્પની ભારે પીટાઈ થવાની છે. માટે જ આપણે અગાઉ વાત કરી તે મુજબ ટ્રમ્પ પાંચ દેશો પર મિલિટરી કે બીજી કોઈ રીતે હુમલો કરવાના બણગાં ફૂંકી રહ્યા છે. જેના લીધે આવનાર મિડ ટર્મની હારની બાજી જીતમાં ફેરવી શકાય. અમેરિકન આંકડાઓ મુજબ મિડ ટર્મ ચૂંટણીમાં હાર-જીતનો અંદાજો લગાવીએ તો… 2026ની ચૂંટણી માટે પ્રોજેક્શન વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીને 14% લીડ શક્ય (Source: NPR/Marist, Reuters/Ipsos/Gallup) ટ્રમ્પની સંસદમાં હાર નક્કી? કારણ કે મિડલ ક્લાસ વોટર્સ અને ઈન્ડિપેન્ડેન્ટ વોટર્સ ટ્રમ્પથી દૂર જઈ રહ્યા છે. ટ્રમ્પની રિપબ્લિકન્સ પાર્ટીને સંસદમાં હાર ચોખ્ખી દેખાઈ રહી છે માટે જ પાંચ દેશો પર હુમલાઓ કરવાની વાતો કરી રહ્યા છે. મીડ ટર્મ ઈલેક્શન પહેલા અમેરિકન્સ રિસર્ચ પેપર્સના આંકડા ટ્રમ્પને ધ્રુજાવી દે તેવા છે. અમેરિકામાં મોંઘવારી અને બેરોજગારીના કારણે હાલ લોકોમાં ખૂબ જ આર્થિક અસંતોષ છે. સર્વે શું કહે છે? 70% લોકો મોંઘવારીથી ત્રસ્ત (Source: PBS News/NPR/Al Jazeera/Marist) હવે જે પાંચેય દેશો ટ્રમ્પના હોટ લિસ્ટમાં છે ત્યાં હુમલો કરવાનો કે સત્તા જમાવવાનો ટ્રમ્પનો રાજકીય ઉદ્દેશ્ય સમજીએ. વેનેઝુએલામાં પેટ્રોલ ડીઝલ પ્રોસેસ થશે તો અમેરિકાને જ સસ્તુ ઓઇલ મળવાનું છે. આ રીતે નાગરિકોને ખુશ કરી મિડ ટર્મની હાર જીતમાં ફેરવી શકાય ગ્રીનલેન્ડના સોના પર ટ્રમ્પની નજર ગ્રીનલેન્ડમાં રેર અર્થ મિનરલ્સ પણ છે અને તે આર્કટિકનો છેડો પણ છે. રેર અર્થ મિનરલ્સ એટલે સોના અને સેમિકન્ડક્ટર કરતા પણ કિંમતી વસ્તુ. અહીં અમેરિકા કબજો કરે તો રશિયાનો અમેરિકા સુધીનો દરિયાઈ સામ્રાજ્ય જોખમમાં આવે. અમેરિકાના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ સ્ટીફન મિલરના પત્ની કેટી મિલરે હમણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ ટ્વીટ કરી હતી. જેનો અર્થ થાય છે જલદી જ ગ્રીનલેન્ડ પર અમેરિકાનું રાજ હશે. ગ્રીનલેન્ડ મુદ્દે યુરોપ એકજુટ આ ડેનમાર્ક સહિત યુરોપિયન યુનિયનને આંખમાં કણાંની જેમ ખૂંચ્યું હતું. કારણ કે ગ્રીનલેન્ડ ડેનમાર્કનો ભાગ છે. અને ડેનમાર્ક અમેરિકા સહિત નાટોનું સભ્ય છે. જો અમેરિકા ગ્રીનલેન્ડ હડપી લે તો ઈતિહાસમાં પહેલીવાર હશે જ્યારે કોઈ નાટો સભ્ય દેશે બીજા નાટો સભ્ય દેશના વિસ્તારને હડપી લીધો હોય. આપણે વર્લ્ડવોર 2-3 વચ્ચે છીએ જો ગ્રીનલેન્ડ પર અમેરિકા સૈન્ય ઉતારે, તો નાટો NATOના ચીંથરેચીંથરા ઉડી જશે. અને જો નાટો તૂટે, તો રશિયા આખું યુક્રેન હડપી લેશે અને ચીન તાઈવાન પર બોમ્બમારો શરૂ કરી દેશે. આ એક ચેઈન રિએક્શન છે જે ત્રીજા વિશ્વયુદ્ધ તરફ જઈ રહ્યું છે. અને આપણે વર્લ્ડ વોર 2 અને વર્લ્ડ વોર 3 વચ્ચે શ્વાસ લઈ રહ્યા છીએ. ખૌમેની ઈરાન છોડી દેશે? ઈરાનની વાત કરીએ તેના સુપ્રીમ લીડર ખોમૈની દેશ છોડીને ભાગી જવાના છે એવી અટકળો ચાલી રહી છે. સૌ જાણે છે કે ખૌમેની ઈઝરાયલ અને અમેરિકા વિરોધી છે અને પરમાણું પ્રેમી પણ છે. ઈરાનની પરમાણું જીદ છોડાવવા ટ્રમ્પ આવું કરી શકે છે. મેક્સિકો અને ડ્રગ્સ કાર્ટેલ મેક્સિકોની વાત કરીએ તો અહીં અમેરિકાની સીમા સુરક્ષાની વાત આવી જાય છે, કારણ કે તે અમેરિકાના જ આંગણાનો પ્રદેશ છે. બીજું કે અહીં ડ્રગ્સની પણ મોટી સમસ્યા છે કારણ કે તે અમેરિકામાં સપ્લાય થઈ રહ્યું છે જેનાં કારણે અમેરિકન્સ નશેડી બની રહ્યા છે. કોલંબિયામાં પણ ડ્રગ્સ કાર્ટેલનો પ્રોબ્લમ છે અને તે પણ જીઓગ્રાફિકલી અમેરિકાના પ્રભુત્વ વિસ્તાર નજીક જ છે. ક્યૂબાથી રશિયા-ચીનનો છૂટકારો ક્યૂબાની વાત વૈચારિક અને જીઓપોલિટિકલ છે. અમેરિકાની વિચારધારા અને ક્યૂબાની વિચારધારામાં જમીન આસમાનનો ફરક છે. ક્યુબામાં રશિયાની જેમ સામ્યવાદનો વૈચારિક દબદબો છે. જેનો અંત અમેરિકા માટે અતિ મહત્વનો છે જેથી ચીન અને રશિયાના વધતા પ્રભુત્વને ક્યૂબાના મૂળમાંથી સફાયો કરી શકાય. અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો ક્યૂબાના છે. જે ખુદ માને છે કે ક્યૂબા અને વેનેઝુએલાની સરકારો મોટી સમસ્યાઓ છે, જેને દૂર કરવી જોઈએ. અમેરિકા ગ્લોબલ લીડર નહીં ગ્લોબલ વિલન સામેની બાજુ ગઈકાલે અમેરિકાના સિનિયર પોલિટિશિયન બર્ની સેન્ડર્સે આ ટ્વીટ કરી હતી અને વેનેઝુએલા સ્ટ્રાઈકને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. સાથે કહ્યું હતું કે અમેરિકા ગ્લોબલ લીડરમાંથી ગ્લોબલ વિલન બની રહ્યું છે. યુરોપ પણ અમેરિકાના એક્શન્સથી દુવિધામાં છે. જો કે સ્પેને ટ્રમ્પનો ખુલીને વિરોધ કર્યો છે. બીજી બાજુ ફ્રાન્સ અને જર્મની ટ્રમ્પની નિંદા કરવાનું ટાળી મૌન જ સેવી રહ્યા છે. ભારતના પગ દૂધ-દહીમાં આ મામલે વિશ્વની સાથે ભારત પણ અત્યારે દૂધ અને દહીંમાં પગ રાખી રહ્યું છે. ટ્રમ્પે હમણા થોડા દિવસો પહેલા જ ભારતને ધમકી આપી છે કે જો રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ નહીં કરો, તો ભારતીય સામાન પર 25% ટેરિફ લાદી દેવામાં આવશે. ટ્રમ્પની આ સંસ્કારી રાજદ્વારી ભાષાથી હાલ ભારત સહિત દુનિયાના મોટા ભાગના નેતાઓ ડરી રહ્યા છે. ટ્રમ્પને નહીં રોકાય તો નવું વિશ્વયુદ્ધ દરવાજા પર હશે વિશ્વમાં અત્યારે જે ચાલી રહ્યું છે તે ખૂબ જ ભયાનક છે. જો ટ્રમ્પ આ બધુ કરવામાં સફળ રહે છે તો દુનિયામાં સોવર્નિટી અથવા સાર્વભૌમત્વ શબ્દનો કોઈ અર્થ જ નહીં રહે. જેની પાસે મોટું લશ્કર તેની સત્તાના જૂના જમાનામાં આપણે આવી જઈશું. અત્યારે આપણે સેમિકન્ડક્ટર હબમાં લીડર બનવા માગીએ છીએ પણ જો અમેરિકાની આક્રામક નીતિની જેમ આવતીકાલે ચીન તાઈવાન હડપી લે તો આપણું સેમિકન્ડક્ટર હબ બનવાનું સપનાના ચીંથરા ઉડી જશે. કારણ કે વિશ્વના 90 ટકા સેમિકન્ડક્ટર રાયના દાણા જેવડું તાઈવાન જ બનાવી રહ્યું છે. ભારતને ખરા અર્થમાં આત્મનિર્ભર અને મેડ ઈન ઈન્ડિયાના સૂત્રથી ઉપર ઉઠીને પોતાની ઈન્ડિપેન્ડેન્ટ બનવાની ગતિ 100 ગણી વધારવી પડશે. અને છેલ્લે.... આપણે ગર્વથી કહીએ છીએ કે ભારત વિશ્વગુરુ છે. પણ વિશ્વગુરુનો અર્થ માત્ર આર્થિક પ્રગતિ નથી, પણ નૈતિક હિંમત પણ છે. આઝાદી પછી 1950ના સમયમાં ભારતે કોરિયા અને વિયેતનામ મુદ્દે જે સ્પષ્ટ વલણ રાખ્યું હતું તેવી હિંમત ભારતે અને વિશ્વએ આજે પણ દેખાડવી પડશે. જો વિશ્વ હવે ચૂપ રહેશે તો કાલે રશિયા યુક્રેન પર, ચાઈના તાઈવાન પર અને બીજા દેશો પણ એકબીજા પર લોહી તરસ્યા દુશ્મનની જેમ તૂટી પડશે. કોઈ એક હિંમત કરીને આગળ આવશે તો 100 પાછળ લાઈનમાં ઉભા રહેશે. શરૂઆત તો કોઈએ કરવી પડશે ચાહે એ ભારત હોય, ચીન હોય, રશિયા હોય કે યુનાઈટેડ નેશન્સ હોય બાકી ટ્રમ્પ દુનિયાનો ભરડો લઈ લેશે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ સમીર પરમાર)
પાલેજ પોલીસે યુનાઇટેડ કિંગડમ (યુ.કે.) જવા માટે ખોટા લગ્ન તથા છુટાછેડાના દસ્તાવેજો તૈયાર કરી કબૂતરબાજી કરાતી હોવાના કૌભાંડનો પર્દાફાશ કરી વકીલ સહિત ચાર સાગરીતો સામે ગુનો દાખલ કર્યો છે. સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પત્રકાર પરિષદ યોજી વિગતો જાહેર કરી હતી. પાલેજ પોલીસ ઇન્સ્પેક્ટર આનંદ ચૌધરી તથા તેમની ટીમ દ્વારા અરજીની તપાસ દરમિયાન બહાર આવ્યું કે, વલણનો અને હાલ યુ.કે. રહેતો રીઝવાન ઇસ્માઇલ મેદાએ પોતાની પત્ની તરીકે જંબુસરની તથા હાલ યુ.કે.માં રહેતી તસ્લીમાબાનુ ઇસ્માઇલ કારભારી સાથે ખોટા લગ્નના પુરાવા ઉભા કર્યા હતા. આ માટે આરોપીઓએ ખોટું લગ્ન નોંધણી પ્રમાણપત્ર તૈયાર કર્યું હતું. તપાસમાં વધુ ખુલ્યું કે, રીઝવાન મેદાએ એજન્ટ સોયેબ દાઉદ ઇખ્ખરીયાને ફોન કરી પોતાની પત્ની તરીકે તસ્લીમાબાનુની યુ.કે.વિઝા અરજી કરવાની સૂચના આપી હતી. વર્ષ 2024ના ફેબ્રુઆરી મહિનામાં તસ્લીમાબાનુએ ખોટું લગ્ન સર્ટિફિકેટ એજન્ટને રજૂ કરતાં, ડિપેન્ડન્ટ વિઝા હેઠળ રીઝવાન મેદાને યુ.કે. બોલાવી લેવાયો હતો. આ બાદ પૈસાની લેતી-દેતીના મુદ્દે આરોપીઓ વચ્ચે આંતરિક વિવાદ સર્જાતા, રીઝવાન મેદાએ અરજદાર મિન્હાજ યાકુબ ઉઘરાદાર મારફતે પોલીસ સમક્ષ ખોટી ફરીયાદ અરજી રજૂ કરી હતી. વધુમાં, તસ્લીમાબાનુના સગા ભાઈ ફૈઝલ તથા કાંઠારીયાના અને હાલ કેનેડામાં રહેતા સાજીદ કોઠીયા નામના વકીલે રીઝવાન અને તસ્લીમાબાનુ માટે ભરૂચ કોર્ટનું ખોટું છુટાછેડાનું જજમેન્ટ તૈયાર કરી તેનો સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કર્યો હોવાની હકીકત બહાર આવી છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓએ પરસ્પર સહકારથી ગુનાહિત કાવતરું રચી ખોટા દસ્તાવેજો તૈયાર કરી વિઝા મેળવ્યાનું સાબિત થતા, પાલેજ પોલીસે જાતે ફરિયાદી બની ચારેય આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે. આ મામલે ખોટા દસ્તાવેજોના આધારે વિઝા મેળવવામાં આવ્યા હોવાની માહિતી બ્રિટિશ હાઈ કમિશન તથા એમ્બેસીને પાઠવી દેવામાં આવી છે અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ આ ટોળકી દ્વારા ભરૂચ કે અન્ય જિલ્લાઓમાં પણ આ પ્રકારના ગુનાઓ આચરાયા છે કે કેમ તે દિશામાં વિસ્તૃત તપાસ શરૂ કરવામાં આવી છે.
દાદાસાહેબ ફાળકે શાળામાં આનંદ મેળાનું આયોજન:વિદ્યાર્થીઓએ 40થી વધુ ખાણીપીણીના સ્ટોલ લગાવ્યા
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત દાદાસાહેબ ફાળકે પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં શાળાના વિદ્યાર્થીઓએ 40થી વધુ ખાણીપીણીના વિવિધ સ્ટોલ લગાવ્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાના સ્ટોલ પર વિવિધ પ્રકારની વાનગીઓ રજૂ કરી હતી. આ મેળામાં વિદ્યાર્થીઓના વાલીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મેળામાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિવિધ વાનગીઓનો સ્વાદ માણ્યો હતો. આ પ્રકારના આયોજનથી શાળામાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં વ્યવહારિક જ્ઞાન અને વેપાર કૌશલ્યનો વિકાસ કરવામાં મદદરૂપ થાય છે. સાથે જ, તે શાળા પરિવારમાં આનંદમય વાતાવરણ પણ સર્જે છે.
રાજકોટમાં કટારીયા ચોકડી પાસે આવેલા મોદીનગર વિસ્તારમાં લક્ષ્મીનારાયણ સોસાયટી પાસે રહેતા મહિલાના ઘર ઉપર પથ્થરમારો કરી દંપતીને જાનથી મારી નાખવા ધમકી આપતા યુનિવર્સિટી પોલીસે રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પાલતુ શ્વાન કરડવા બાબતે ફરિયાદ કરવા ગયેલા યુવાનને ઇન્જેક્શન નહીં લગાવવું પડે તેવું સમજાવવા જતા ઉશ્કેરાયેલા શખ્સોએ તેના સાગરીતોને બોલાવી દંપતીના ઘર પર પત્થર મારો કર્યો હતો. કટારીયા ચોકડી પાસે આવેલા મોદીનગર લક્ષ્મીનારાયણ સોસાયટી પાસે રહેતા જોસનાબેન દીપકભાઈ પરમાર (ઉ.વ.28) નામના સફાઈ કામદાર મહિલાનું પાલતુ શ્વાન એક યુવાનની પાછળ દોડી શરીરે ઉજારડો કર્યો હોય જેથી આ યુવાને ત્યાં પ્લોટના માલીકને બોલાવતા તેઓ બે કારમાં નવ શખ્સો ધસી આવ્યા હતા અને મકાન પર પથ્થરમારો કર્યો હતો તેમજ દંપતીને ધમકી આપી આરોપી ફરાર થઇ ગયા હતા. આ અંગે યુનિવર્સિટી પોલીસમાં રામભાઈ સોલંકી, તુફાનભાઈ બાબરીયા, લાલુભાઈ ચંદુભાઈ મહિડા અને તેની સાથેના અજાણ્યા છ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું સાત વર્ષથી કોટ્રાકટમા સફાઈ કામદાર તરીકે કામ કરૂ છું. ગઈ તા.04.01.2026ના રોજ સાંજના હું મારા પતિ તથા બાળકો ઘરમા હતા ત્યારે બાજુમા આવેલ વંડામાં તેમના માણસો પણ ત્યા બહાર બેસતા અને અમારા ઘરેથી પીવા માટે પાણી લઈ જતા તેવીજ રીતે તેમનો એક માણસ અમારા ઘરમા ફરીવાર પાણી લેવા માટે આવ્યો તે વખતે અમારૂ પાલતુ શ્વાન તે છોકરા તરફ દોડતા તે બહાર ભાગી ગયો હતો બાદ હું તથા મારા પતિ અમે ઘરની બહાર નીકળતા આ છોકરો જેનુ નામ મને આવડતુ નથી તે ત્યા ઉભો હતો જેથી મે તેને સમજાવ્યું કે, પુછ્યા વગર કેમ ઘરમા આવે છે આમ કહેતા તેણે કહ્યું કે હું આની પેલા પાણી લેવા માટે આવ્યો તેમ પાણી લેવા માટે આવ્યો હતો. બાદમાં તમારા શ્વાને મને બટકુ ભર્યું છે તેમ જણાવતા મે જોયું તો તેને ફક્ત હાથના ભાગે ઉજરડો પડેલ હતો જેથી અમે કહ્યું કે આમા તારે ઈંજેકશન નહી લેવુ પડે કારણ કે અમે અમારા શ્વાનને ઈન્જેક્શન અપાવેલ છે જેથી આ છોકરો ઉશ્કેરાય જઈ અને તેણે રામભાઈ સોલંકી, તુફાનભાઈ બાબરીયા અને લાલુભાઈ ચંદુભાઈ મૈયડને ફોનથી જાણ કરતા તેઓએ તેમના બીજા માણસોને ફોન કરી અને અમારી સાથે ઝઘડો કરવા બહારથી બોલાવેલ હતા. થોડીવારમા 6 માણસો જે અમારી જ્ઞાતીના રામભાઈ સોલંકી તથા તુફાનભાઈ બાબરીયા તથા લાલુભાઈ ચંદુભાઈ મૈયડાનાઓના કહેવાથી આવ્યા હતા અને બધાયે મોઢે રૂમાલ બાંધેલ હતા જેથી હું ઓળખી શકી નહી અને તેઓ તમામ બે ગાડીમા આવ્યા હતા પોતાના હાથમા ધોક્કા લાવ્યા હતા. બાદમાં અમારા ઘર ઉપર પથ્થરના છુટા ઘા મારતા અમને તે વાગી જતા મુંઢ ઇજા થઇ હતી તેઓએ અમને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા તે દરમ્યાન દેકારો થતા તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. આ મામલે યુનિવર્સિટી પોલીસે સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ટીટોદણ મોતીપુરા ગામે ખેત મજૂરી કરતા એક શ્રમિકનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજતા ચકચાર મચી ગઈ છે. મૃતકના ભાઈએ આક્ષેપ કર્યો છે કે ઝટકા મશીનના વાયરની ચોરીની શંકા રાખી બે શખ્સોએ કરેલા હુમલામાં તેના ભાઈનું મોત થયું છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે અને પોલીસ ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી પરિવારે મૃતદેહ સ્વીકારવાનો સાફ ઇનકાર કરી દીધો છે. ખેતર માલિકના ઢોરમારના કારણે મોત થયાનો આક્ષેપમૂળ બનાસકાંઠાના થરાદ પાસેના વાલપુરા ગામના વતની વધાભાઈ ઠાકોર ઉં.વ. 40 છેલ્લા 20 વર્ષથી ટીટોદણ મોતીપુરા ગામે રમેશભાઈ પટેલના ખેતરમાં પશુપાલન અને ભાગિયા તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગતરાત્રિ દરમિયાન બાજુના ખેતરમાં રહેતા લાલાભાઈ ઠાકોર મૃતકના ભાઈના પશુની પ્રસૂતિ સમયે મદદ કરવા માટે વધાભાઈ ત્યાં ગયા હતા. તે સમયે પડોશી ખેતરના માલિક અરવિંદભાઈ અને તેમના ભાગિયાએ ત્યાં આવી વધાભાઈ પર ઝટકા મશીનનો વાયર ચોરવાનો આક્ષેપ કર્યો હતો. આ બાબતે ઉગ્ર બોલાચાલી બાદ બંને શખ્સોએ વધાભાઈને ગાળો આપી ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ તેમના ભાઈ લાલાભાઈએ કર્યો છે. મારપીટની આ ઘટના બાદ વધાભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવને પગલે ગભરાયેલા હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પરિવારજનો તાત્કાલિક વધાભાઈને કુકરવાડા સરકારી દવાખાને લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાનો આક્ષેપહાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વડનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃતકના ભાઈએ આક્ષેપ કર્યો છે કે પોલીસ દ્વારા હજુ સુધી આ મામલે યોગ્ય ફરિયાદ નોંધવામાં આવી નથી. બનાવની જાણ થતા જ બનાસકાંઠાથી સમાજના અગ્રણીઓ અને પરિવારજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. પરિવારે ચીમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી આરોપીઓ સામે કડક કાર્યવાહી નહીં થાય અને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ મૃતદેહનો સ્વીકાર કરશે નહીં. પરિવારની સાથે રહી અમે ન્યાય અપાવીશું- પૂર્વ ધારાસભ્યબેચરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે જણાવ્યું કે, આજે વડનગર સિવિલમાં ફોરેન્સિક PM કરાવવા માટે થઈને ડેડ બોડી અહીંયા લાવ્યા છીએ.આજે આખો દિવસ થયો છતાંય હજુ સુધી ફરિયાદીની ફરિયાદ લેવામાં નથી આવતી.એના કારણે હજુ અમે અહીંથી ડેડ બોડી ઉઠાવી નથી.અને જો ન્યાય નહીં મળે અને આરોપીઓને પકડી અને જેલના હવાલે કરવામાં નહીં આવે અને ફરિયાદ લેવામાં નહીં આવે તો આવતીકાલે અમારા આખા જિલ્લાનો ઠાકોર સમાજ અહીંયા ભેગો થશે.અને મૃત્યુ પામનાર ને ન્યાય અપાવવા માટે થઈને આખો ઠાકોર સમાજ 2000 થી વધારે લોકો અહીંયા સિવિલ ખાતે ઉમટી પડશે.અને જ્યાં સુધી એને ન્યાય નહીં મળે ત્યાં સુધી અહીંથી અમે ડેડ બોડી ઉઠાવવાના નથી. પરિવારની સાથે રહી અમે ન્યાય અપાવીશું અને જેણે પણ આ કૃત્ય કર્યું છે, એને જેલના સળિયા પાછળ ધકેલવા માટે થઈને અમે પૂરેપૂરા પ્રયત્નો કરી રહ્યા છીએ. સમગ્ર બાબતે વસાઈ પોલીસ મથકના પી.આઈ ટી. જે દેસાઈ નો સંપર્ક કરતા તેઓએ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું.
રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા વિવિધ ટ્રેડમાં 125 જેટલા એપ્રેન્ટીસોની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. વિભાગીય નિયામક હિમાંશુ જોષીના જણાવ્યા અનુસાર, ડિઝલ મિકેનિક, મોટર મિકેનિક, વેલ્ડર, ઈલેકટ્રીશ્યન, ફીટર અને કોપા જેવી પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. રસ ધરાવતા ઉમેદવારોએ અરજીપત્રક મેળવવા માટે નિગમની વિભાગીય કચેરી, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. ફોર્મ મેળવવાની છેલ્લી તારીખ 12/01/2026 છે અને કચેરીના સમય દરમિયાન 11:00 થી 14:00 કલાક સુધી ફોર્મ મેળવી શકાશે. આ ભરતી માટે વયમર્યાદા 18 થી 35 વર્ષ નક્કી કરવામાં આવી છે. શૈક્ષણિક લાયકાતમાં કોપા માટે 12 પાસ અને ITI, જ્યારે અન્ય ટ્રેડ માટે 10 પાસ સાથે ITI પાસ હોવું અનિવાર્ય છે. ઉમેદવારોએ apprenticeshipindia.org પોર્ટલ ઉપર 100% પ્રોફાઈલ પૂર્ણ કરી રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને GSRTC-RAJKOT સર્ચ કરી ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે. અરજીપત્રકમાં મોબાઈલ નંબર અને આધારકાર્ડ નંબર ફરજીયાત છે. અગાઉ ક્યાંય એપ્રેન્ટીસ તરીકે તાલીમ ન લીધી હોય તેવા ઉમેદવારો જ પાત્ર ગણાશે. ઓનલાઈન અરજી કરનાર ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ઈમેઈલ દ્વારા જાણ કરવામાં આવશે. ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને કોર્પોરેશનમાં કામ કરવાની તક, 'સ્વચ્છ TULIP' ઈન્ટર્નશીપ પ્રોગ્રામ રાજકોટનાં વિદ્યાર્થીઓને મનપામાં કામ કરવા માટેની તક મળશે. મહાપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ ગ્રેજ્યુએટ થયેલા છાત્રો માટે 'સ્વચ્છ TULIP' ઈન્ટર્નશીપ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 અંતર્ગત યુવાનોની ભાગીદારી વધારવા માટે ઈન્ટર્નશીપ પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી છે. મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા પ્રેરિત આ અર્બન લર્નિંગ ઈન્ટર્નશીપ પ્રોગ્રામ હેઠળ ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ સરકારી વિભાગોમાં ટેકનિકલ અને વહીવટી કામગીરીનો પ્રત્યક્ષ અનુભવ મેળવી શકશે. 1 મહિનાની ઈન્ટર્નશીપ દરમિયાન વિદ્યાર્થીઓને સ્વચ્છતા કેમ્પેઈન, અવેરનેસ ડ્રાઈવ, બિહેવિયર ચેન્જ, IEC ઈનિશિયેટીવ્સ તેમજ વેસ્ટ મોનિટરિંગ જેવી મહત્ત્વની કામગીરીમાં જોડાવાની તક મળશે. ઈન્ટર્નશીપ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર તમામ વિદ્યાર્થીઓને રાજકોટ મહાપાલિકા દ્વારા પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવશે. આ માટે વિદ્યાર્થીઓએ AICTE ના પોર્ટલ પર 15 જાન્યુઆરી સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વધુ માહિતી માટે છાત્રો IECCELL.RMC@GMAIL.COM અથવા મોબાઈલ નંબર 9714954242 પર સંપર્ક કરી શકે છે. આજી બાદ ન્યારી-1માં પણ નર્મદાનાં નીર ઠાલવવાનુ શરૂ કરવામાં આવ્યું રાજકોટની જીવાદોરી સમાન આજી-1ની સાથોસાથ હવે ન્યારી-1 ડેમમાં પણ સૌની યોજના હેઠળ નર્મદાનાં નીર ઠાલવવાનું શરૂ કરી દેવાયું છે. છેલ્લા પાંચ દિવસમાં રાજકોટના આજી ડેમમાં 150 એમસીએફટીથી વધુ નર્મદાનાં નીર ઠલવાઈ ગયા છે. આથી ભર શિયાળે આજીની સપાટી 25.25 ફૂટ પહોંચી ગઈ છે. દરમિયાન રાજકોટના ન્યારી-1માં બે દિવસથી સૌની યોજનાનું પાણી ઠાલવવાનું શરૂ કરી દેવાયું છે. ત્યારે બે દિવસમાં 25 એમસીએફટી જેટલુ નર્મદા નીર ન્યારી ડેમમાં ઠલવાઈ ગયું છે અને આજની સ્થિતિએ ડેમની સપાટી 19.19 ફૂટ પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, બન્ને ડેમો સિંચાઈ વિભાગ દ્વારા ફરી એક વાર છલકાવી દેવામાં આવનાર છે. નોંધનીય છે કે આજી-1 29 ફૂટે 100 ટકા ભરાય છે ત્યારે ન્યારી-1 25 ફૂટે 100 ટકા ભરાય જાય છે. રાજકોટમાં પાણીજન્ય રોગચાળાને નાથવા મનપાની ડ્રાઈવ, 18 વોર્ડમાં 358 સ્થળે ક્લોરીન ટેસ્ટ કરાયા રાજકોટની જાહેર જનતાના આરોગ્યની સુખાકારી માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય રોગચાળાને અટકાવવા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. સલામત પીવાનું પાણી અને સ્વચ્છ વાતાવરણ પૂરું પાડવાના હેતુથી આરોગ્ય વિભાગના અધિકારીઓ, મેડિકલ ઓફિસરો અને વોટર મેનેજમેન્ટ યુનિટના સ્ટાફ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પીવાના પાણીની ગુણવત્તા જાળવવા અને ક્લોરીનેશનની પ્રક્રિયાને વધુ સચોટ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. રોગચાળો ફેલાતો અટકાવવા માટે શહેરના તમામ વોર્ડમાં પાણી વિતરણના સમયે ઘરે-ઘરે જઈને રેસીડયુઅલ ક્લોરીન ટેસ્ટ (RC Test) કરવાની વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત શહેરના કુલ 18 વોર્ડમાં 37 ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કામગીરી દરમિયાન રહેણાંક વિસ્તારોમાંથી પીવાના પાણીના કુલ 358 સેમ્પલ લઈ સ્થળ પર જ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાહતની વાત એ છે કે કરવામાં આવેલા તમામ 358 ટેસ્ટનું પરિણામ પોઝીટીવ આવ્યું હતું, જ્યારે એક પણ સ્થળે નેગેટિવ રિઝલ્ટ નોંધાયું નથી. આમ, મનપા દ્વારા વિતરણ કરવામાં આવતા પાણીમાં ક્લોરીનનું પ્રમાણ જળવાઈ રહેતા લોકોના આરોગ્ય પરનું જોખમ ઘટ્યું છે.
સુરતના ઉધના વિસ્તારમાં આવેલી હેગડેવાર વસાહતમાં પતંગ ચગાવવા જેવી નજીવી બાબતે થયેલી તકરારે હિંસક વળાંક લીધો છે. પતંગની દોરી ખેંચવા બાબતે થયેલા વિવાદમાં ચાર શખસોએ ભેગા મળી એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં ચાર શખ્સો નિર્દયતાપૂર્વક માર મારી રહ્યા હોવાનું સ્પષ્ટ દેખાય છે. પોલીસે આ ફૂટેજના આધારે તપાસ શરૂ કરી બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પતંગની દોરી ખેંચવાની બાબતે યુવક જીવલેણ હુમલોઘટનાની વિગત મુજબ, ફરિયાદી ફિરોજ શેખ તેના મિત્રો સાથે ધાબા પર પતંગ ચગાવતો હતો, ત્યારે પતંગની દોરી ખેંચવા બાબતે સાહિલ ઉર્ફે શાહુ અને રોહિત બચ્છાવ સાથે વિવાદ થયો હતો. આ સામાન્ય બોલાચાલી બાદ રાત્રે સાત વાગ્યાના અરસામાં જ્યારે ફરિયાદી તેના પરિવાર સાથે ઘરની બહાર બેઠા હતા, ત્યારે આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરું રચી હુમલો કર્યો હતો. સીસીટીવીમાં દેખાય છે કે ચાર શખસો અચાનક ધસી આવે છે અને ઝઘડો શરૂ કરે છે. ગોલુ બિહારીનો ચપ્પુ કાઢી યુનુસઅલી પર હુમલોસીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા દૃશ્યોમાં જોવા મળે છે કે, ચાર શખસો ફરિયાદી અને તેના બનેવી યુનુસઅલી સૈયદને ઘેરી વળે છે. આરોપીઓ લાત-ઘુસ્તાનો વરસાદ વરસાવી રહ્યા છે અને પીડિત પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ દરમિયાન આરોપી ગોલુ બિહારીએ ચપ્પુ કાઢી યુનુસઅલી પર હુમલો કર્યો હતો, જેના કારણે તેને છાતી, જાંઘ અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ લોહીયાળ હુમલા બાદ હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીલોહીલુહાણ હાલતમાં યુનુસઅલીને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ અને ત્યાર બાદ ઉધના દરવાજા ખાતેની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સીસીટીવીમાં આરોપીઓના ચહેરા સ્પષ્ટ દેખાતા હોવાથી પોલીસને આ કેસમાં મહત્વના પુરાવા હાથ લાગ્યા છે. ફરિયાદના આધારે ઉધના પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હુમલામાં વપરાયેલું હથિયાર જપ્ત કરવાની તજવીજ હાથ ધરીસીસીટીવી ફૂટેજમાં જે રીતે ચાર લોકો મળીને હુમલો કરી રહ્યા છે તે જોતા પોલીસે હુમલામાં વપરાયેલું હથિયાર જપ્ત કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસનું કહેવું છે કે, સીસીટીવી ફૂટેજ કોર્ટમાં પુરાવા તરીકે મજબૂત સાબિત થશે. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં અન્ય બે શખસોના નામ પણ ખૂલ્યા છે, જેઓ હાલ ફરાર છે. પોલીસે આ મામલે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે જેથી ભવિષ્યમાં આવી હિંસક ઘટનાઓ ન બને.
ગુજરાત પોલીસની ડિજિટલ પહેલ GP-SMASH (Gujarat Police – Social Media Monitoring, Analysis and Systematic Handling)એ સોશિયલ મીડિયા દ્વારા નાગરિકોની ફરિયાદોના નિરાકરણમાં નવી મિસાલ સ્થાપી છે. 1 માર્ચ, 2025થી શરૂ થયેલી આ પહેલના માત્ર 10 મહિનામાં સોશિયલ મીડિયા પરથી મળેલી 1163 ફરિયાદોમાંથી મોટાભાગની ફરિયાદોનો ગણતરીના સમયમાં સુખદ નિકાલ કરવામાં આવ્યો છે. પોલીસ સુધી પહોંચવા માટે ઓફિસોના ધક્કા ખાવાની જરૂર નથીGP-SMASHનો મુખ્ય હેતુ સોશિયલ મીડિયા પર લોકો દ્વારા મૂકાતી ફરિયાદો, ચિંતાઓ અને સૂચનોને ગંભીરતાથી લઈ સંબંધિત પોલીસ અધિકારી સુધી તાત્કાલિક પહોંચાડવાનો છે. પરિણામે નાગરિકોને હવે પોલીસ સુધી પહોંચવા માટે ઓફિસોના ધક્કા ખાવાની જરૂર નથી, એક સિંગલ ક્લિકથી મદદ મળી રહી છે. આ 10 મહિનામાં કાયદો અને વ્યવસ્થા સંબંધિત 71, સાયબર ક્રાઈમના 233, ટ્રાફિકના 377, ચોરી-લૂંટ-ગુમશુદગીના 109 સહિત કુલ અંદાજે 1163 ફરિયાદો સોશિયલ મીડિયા મારફતે મળી હતી, જેમાંથી 1150થી વધુ ફરિયાદોનું સમયસર નિરાકરણ લાવવામાં આવ્યું છે. રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવના નેતૃત્વમાં અને લૉ એન્ડ ઓર્ડર ડીઆઇજી દીપક મેઘાણીના માર્ગદર્શન હેઠળ GP-SMASHની સ્ટેટ લેવલ ડેડિકેટેડ ટીમ 247 સોશિયલ મીડિયા પર નજર રાખી રહી છે. રાજ્યના તમામ જિલ્લા અને રેન્જમાં પણ અલગ-અલગ ટીમો કાર્યરત છે. ટ્વિટથી બચાવ અને ન્યાય – ત્રણ નોંધપાત્ર કેસ GP-SMASHના કારણે હવે ગુજરાતના નાગરિકો પોલીસથી માત્ર એક ટ્વીટ દૂર છે. કોઈ પણ ફરિયાદ માટે ગુજરાત પોલીસના ઓફિશિયલ X (ટ્વિટર) હેન્ડલ @GujaratPoliceને ટેગ કરીને રજૂઆત કરી શકાય છે.
ગુજરાતમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે રાજ્યને મોટી ભેટ મળી છે. કેન્દ્ર સરકારના સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (CIRF)માંથી રાજ્ય સરકાર હસ્તકના માર્ગોના કુલ 41 કામો માટે રૂ.1078.13 કરોડની મંજૂરી આપવામાં આવી છે. આ રકમથી રાજ્યભરમાં 564.57 કિલોમીટર લંબાઈના રસ્તાઓના વાઈડનીંગ, સ્ટ્રેન્ધનીંગ, રીસર્ફેસિંગ તેમજ સ્ટ્રક્ચર સંબંધિત કામો હાથ ધરાશે. નવેમ્બર 2025માં મળેલી બેઠકમાં મદદની ખાતરી આપવામાં આવી હતીમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય માર્ગ પરિવહન તથા ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીની હાજરીમાં નવેમ્બર-2025માં ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકની ફળશ્રુતિ રૂપે આ મંજૂરી મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ રોડ કનેક્ટિવિટી મજબૂત બનાવી ‘ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન’ને વેગ આપવાના અભિગમને ગુજરાતમાં વધુ અસરકારક બનાવવામાં આવશે. કયા કામ માટે કેટલી રકમની ફાળવણી?આ યોજનાથી પી.એમ. ગતિશક્તિ અન્વયે લોજિસ્ટિક્સ વ્યવસ્થા વધુ સરળ અને ઝડપી બનશે, જેના પરિણામે ઉદ્યોગ, વેપાર અને સામાન્ય જનતાને મોટો લાભ મળશે. વિગત મુજબ, પાટણ, કચ્છ, બનાસકાંઠા, ખેડા, મહીસાગર, છોટાઉદેપુર, વલસાડ, અમરેલી, જામનગર અને વડોદરા જિલ્લામાં સ્ટેટ હાઇવેના વાઈડનીંગના 11 કામો માટે 229.20 કિમી વિસ્તારમાં રૂ.636 કરોડ મંજૂર થયા છે. ઉપરાંત અમદાવાદ, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, તાપી, નવસારી, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, અમરેલી, સુરત અને જામનગર સહિતના જિલ્લાઓમાં 23 કામો હેઠળ 335.37 કિમી રસ્તાઓના મજબૂતીકરણ અને રીસર્ફેસિંગ માટે રૂ.408.33 કરોડ ફાળવાયા છે. આ સિવાય તાપી, સુરત અને ડાંગ જિલ્લામાં સ્ટ્રક્ચરના 7 કામો માટે રૂ.33.80 કરોડની મંજૂરી આપવામાં આવી છે. રાજ્યભરમાં શરૂ થનારા આ કામોથી માર્ગ સુરક્ષા, વાહન વ્યવહારની સુવિધા અને વિકાસની ગતિને નવી દિશા મળશે.
રાજ્યમાં નવી શિક્ષણ નીતિ (NEP)ના અમલને વધુ અસરકારક બનાવવા માટે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. કોલેજ અને યુનિવર્સિટીઓ માટે એકસરખો અભ્યાસક્રમ અને ક્રેડિટ સિસ્ટમ તૈયાર કરવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ કમિટીની રચના કરવામાં આવી છે. અલગ-અલગ યુનિવર્સિટીઓમાં જુદા નિયમોના કારણે વિદ્યાર્થીઓ-સંશોધકો મુશ્કેલીમાંઆ નવી વ્યવસ્થામાં દરેક યુનિવર્સિટીમાં અભ્યાસક્રમની ગુણવત્તા, ક્રેડિટ માળખું અને PHD ગાઇડની પાત્રતા માટે સમાન માપદંડ નક્કી કરવામાં આવશે. હાલ અલગ-અલગ યુનિવર્સિટીઓમાં જુદા નિયમો હોવાને કારણે વિદ્યાર્થીઓ અને સંશોધકોને મુશ્કેલી પડે છે, જે હવે દૂર થવાની શક્યતા છે. કમિટી દ્વારા ચાર વર્ષીય અંડરગ્રેજ્યુએટ કોર્સ, પોસ્ટગ્રેજ્યુએટ અભ્યાસક્રમ તેમજ સંશોધન આધારિત અભ્યાસ માટે一 ફ્રેમવર્ક તૈયાર કરાશે. સાથે જ, બહુવિધ પ્રવેશ-બહાર (Multiple Entry-Exit) સિસ્ટમને વધુ સ્પષ્ટ અને સરળ બનાવવામાં આવશે. રાજ્ય સરકારનો હેતુ છે કે, 2027-28થી તમામ કોલેજો અને યુનિવર્સિટીઓમાં આ નવી ક્રેડિટ આધારિત અભ્યાસક્રમ વ્યવસ્થા અમલમાં આવે, જેથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં લવચીકતા મળે અને ઉચ્ચ શિક્ષણની ગુણવત્તામાં વધારો થાય.
કેન્દ્રની મોદી સરકાર દ્વારા તાજેતરમાં સંસદમાં પસાર કરવામાં આવેલા 'વિકસિત ભારત-રોજગાર અને આજીવિકા મિશન એટલે કે 'જી-રામ-જી' બિલ અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યસભા સાંસદ મયંક નાયક અને જિલ્લા પ્રમુખ ગીરીશ રાજગોરે નવા બિલની વિશેષતાઓ જણાવી તેને ગ્રામીણ ભારત માટે ગેમ-ચેન્જર ગણાવ્યું હતું. શ્રમિકોને વાર્ષિક 125 દિવસની રોજગારીની ગેરંટીમયંક નાયકે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત 2047'ના સંકલ્પને સિદ્ધ કરવા માટે આ બિલ અત્યંત મહત્વનું છે. અત્યાર સુધી અમલી મનરેગા યોજનાના સ્થાને હવે આ નવું અને આધુનિક બિલ અમલી બનશે, જેમાં ગ્રામીણ શ્રમિકોને હવે 100 દિવસના બદલે વાર્ષિક 125 દિવસની રોજગારીની ગેરંટી આપવામાં આવશે. આ બિલની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં માત્ર શારીરિક મજૂરી જ નહીં, પરંતુ પશુપાલન, ડેરી ઉદ્યોગ, ફૂડ પ્રોસેસિંગ અને કૌશલ્ય વર્ધન જેવા આધુનિક ક્ષેત્રોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પગલાથી ગ્રામીણ યુવાનો અને મહિલાઓ સ્વાવલંબી બનશે અને ગામડાઓની અર્થવ્યવસ્થા મજબૂત થશે. કોંગ્રેસ દ્વારા 'જી-રામ-જી' બિલનો વિરોધવિપક્ષ પર આકરા પ્રહાર કરતા સાંસદ નાયકે જણાવ્યું હતું કે, જે તત્વોએ ભૂતકાળમાં ભગવાન રામનો વિરોધ કર્યો હતો તેઓ જ આજે આ 'જી-રામ-જી' બિલનો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા આ બિલ અંગે ભ્રામક પ્રચાર કરીને લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો થઈ રહ્યા છે જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. ભાજપ સંગઠન દ્વારા ગામે-ગામ પ્રચાર પ્રસારજિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશ રાજગોરે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ગામડાઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના વિઝનથી રજૂ થયેલું. આ બિલ છેવાડાના માનવી સુધી પહોંચે અને લોકો તેનો મહત્તમ લાભ લે તે માટે ભાજપ સંગઠન દ્વારા ગામે-ગામ પ્રચાર પ્રસાર કરવામાં આવશે. આ બિલના માધ્યમથી હવે ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકો વધવાની સાથે માળખાગત સુવિધાઓમાં પણ મોટો સુધારો જોવા મળશે.
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના સેગવા ગામ પાસેથી પસાર થતું લોખંડના સળિયા ભરેલું એક ટ્રેક્ટર અનિયંત્રિત થઈને કુણ નદીમાં ખાબક્યું હતું. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. મળતી માહિતી મુજબ, ટ્રેક્ટર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રેક્ટર પુલ પરથી પલટી મારીને નીચે નદીમાં પડ્યું હતું. અકસ્માત થતાની સાથે જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ટ્રેક્ટરમાં લોખંડના સળિયા ભરેલા હોવા છતાં ચાલકનો આબાદ બચાવ થયો હતો. સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, કુણ નદી પરના પુલ પર રેલિંગનો અભાવ છે. સુરક્ષા દિવાલ કે રેલિંગ ન હોવાને કારણે અહીં અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે. ગ્રામજનોએ તંત્રની બેદરકારી સામે સવાલો ઉઠાવ્યા છે અને પુલ પર સુરક્ષા રેલિંગ લગાવવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો ટાળી શકાય.
રાજકોટ ખાતે આગામી 11 અને 12 જાન્યુઆરીના રોજ યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) સૌરાષ્ટ્ર-કચ્છના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપશે. આ કોન્ફરન્સમાં અમરેલીની 'વેદાસ્તિકા' બ્રાન્ડની સફળતાની ગાથા રજૂ કરવામાં આવશે. સરકારી સહાયથી શરૂ થયેલી આ કંપનીનું વાર્ષિક ટર્નઓવર આજે રૂ. 20 કરોડ સુધી પહોંચ્યું છે. 'લોકલ ટુ ગ્લોબલ' વિકાસ મોડલનું ઉત્તમ ઉદાહરણવર્ષ 2020માં ગુજરાત સરકારની સબસિડી સહાય યોજના હેઠળ રૂ. 30 લાખની સબસિડી સાથે શરૂ થયેલું આ મધ્યમ કેટેગરીનું ઉદ્યોગ એકમ 'લોકલ ટુ ગ્લોબલ' વિકાસ મોડલનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે. કંપનીને સબસિડી ઉપરાંત 7 ટકા વ્યાજ સહાયનો પણ લાભ મળ્યો છે, જે ઉદ્યોગ સાહસિકો માટે પ્રેરણારૂપ છે. 80 થી વધુ પ્રકારની સુગંધિત અગરબત્તીઓ બનાવવામાં આવે છે‘વેદાસ્તિકા’ બ્રાન્ડ હેઠળ 80 થી વધુ પ્રકારની સુગંધિત અગરબત્તીઓ બનાવવામાં આવે છે, જેમાં મશીનવર્ક અને પ્રાકૃતિક હેન્ડમેડ અગરબત્તીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ધૂપસ્ટિક્સ અને વિવિધ પ્રકારના હેન્ડમેડ ફેસ્ટિવલ ગિફ્ટ હેમ્પર્સ પણ બનાવવામાં આવે છે. આ ઉત્પાદનો ભારતના વિવિધ રાજ્યો ઉપરાંત અમેરિકા, યુનાઈટેડ કિંગડમ, ફિજી અને ગલ્ફ કન્ટ્રીઝ સહિત 10 થી વધુ દેશોમાં વેચાય છે. પંચગવ્યથી બનેલી હેન્ડમેડ અગરબત્તી અને ધૂપસ્ટિક્સની વૈશ્વિક બજારમાં મોટી માંગ છે. 150 જેટલી મહિલાઓને રોજગારી મળીઆ ઔદ્યોગિક એકમમાં આજે 150 જેટલી મહિલાઓને રોજગારી મળી છે, જેનાથી મહિલા સશક્તિકરણની નેમ સાકાર થઈ રહી છે. ‘વેદાસ્તિકા’ બ્રાન્ડ અને PAT કંપનીના પાર્ટનર-માલિક અલ્પેશભાઈ જાવીયાએ જણાવ્યું કે, તેમણે કોરોનાકાળમાં આ સાહસ શરૂ કર્યું હતું અને ગુજરાત સરકારની સહાયથી તેઓ આગળ વધી શક્યા છે. કંપની આગામી 10 વર્ષમાં રૂ. 10 કરોડથી વધુના નવા રોકાણનું લક્ષ્ય ધરાવે છે અને વધુ 350 મહિલાઓને રોજગારી આપવાનું આયોજન છે. તેઓ સંપૂર્ણ યુનિટને સોલાર એનર્જીથી કાર્યરત કરવા અને કેમિકલ-ફ્રી ફ્રેગરન્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. જિલ્લામાંથી સિલેક્ટ થયેલા સફળ ઉદ્યોગગાથાઓ પૈકીની એક બ્રાન્ડહેન્ડમેડ સુગંધીત અગરબત્તીની ‘વેદાસ્તિકા’ બ્રાન્ડનું VGRC સૌરાષ્ટ્ર-કચ્છના મંચ પર પ્રેઝન્ટેશન રજૂ થશે. અલ્પેશભાઈએ જાણકારી આપતા કહ્યું કે, વી.જી.આર.સી અંતર્ગત અમરેલી જિલ્લામાંથી સિલેક્ટ થયેલ સફળ ઉદ્યોગગાથાઓ પૈકીની એક બ્રાન્ડ અમારી પણ છે. PAT કંપનીના મહિલા કર્મચારી કાજલબેને જણાવ્યું અમને અહીં સુરક્ષિત વાતાવરણમાં કામ કરવાનો અવસર મળ્યો છે. સાથે સારા વેતન સાથે રોજગારી મળી છે. અમે આર્થિક રીતે પગભર બનીને ઉન્નતિ તરફ આગળ ધપી રહ્યા છીએ. પંચગવ્યથી બનેલી પ્રાકૃતિક અગરબત્તીની સુગંધ મનને પ્રફૂલ્લીત કરે છેભારત વિવિધતામાં એકતા ધરાવતો અનોખો દેશ છે. અહીં અનેક ધર્મ અને સંપ્રદાયના લોકો હળીમળીને એકસાથે સૌહાર્દ સાથે રહે છે. દરેક ધર્મ અને તેના વિવિધ તહેવારોમાં પૂજા-અર્ચનાનું અનેરું મહત્વ છે. દરેક ધર્મમાં ધાર્મિક અને આદ્યાત્મિક જીવનશૈલી મહત્વની છે. જીવ અને પ્રકૃતિ બંને અભિન્ન છે. પંચગવ્યથી બનેલ પ્રાકૃતિક અગરબત્તીની સુગંધ માનવીના મનને પ્રફૂલ્લીત કરે છે. ‘વેદાસ્તિકા’ બ્રાન્ડ હેઠળ વિવિધ તહેવારોને ધ્યાનમાં રાખીને રંગોલી, ડ્રાયફ્રૂટ, મુખવાસ, હેન્ડક્રાફ્ટ ચીજ-વસ્તુઓ, હિલિંગ, બ્રાસ, અરોમા અને હોમ ડેકોર જેવા અનેક પ્રકારના ગીફ્ટ હેમ્પર પણ બનાવવામાં આવે છે. PAT કંપનીની ‘વેદાસ્તિકા’ બ્રાન્ડ જેવી સફળ સ્થાનિક ઉદ્યોગગાથાઓને વૈશ્વિક મંચ પર રજૂ કરવાનું કાર્ય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ કરે છે, જેનાથી અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર–કચ્છ ક્ષેત્રના વિકાસને નવી દિશા અને નવી ઉડાન સાથે ઊંચાઈ પ્રાપ્ત થશે.
પાટનગર ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી ટાઇફોઇડના કેસોમાં સતત વધારો થતા મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. આજે વધુ 9 નવા કેસ નોંધાતા મનપાના ચોપડે ટાઇફોઇડના કુલ દર્દીઓની સંખ્યા 153 પર પહોંચી ગઈ છે. હાલમાં 84 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે અત્યાર સુધીમાં 69 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ મ્યુનિસિપલ કમિશનરને ચેલેન્જ કરી છે કે, તેઓ જે પાણી શુધ્ધ હોવાનો દાવો કરી રહ્યા છે તો કમિશનર આ જ પાણી પીને સાબિત કરે કે પાણી શુધ્ધ છે. ગાંધીનગરમાં આજે નવા 9 કેસ નોંધાયાગાંધીનગરમાં ટાઈફોઈડના રોગચાળાને જે રીતે ભયનો માહોલ છવાયો એ જોઈને નગરજનોને કોરોનાકાળ યાદ આવી ગયો છે. ત્યારે હવે સ્માર્ટ સિટીના વિકાસના અણધડ કામોથી નગરજનોને ફરી એક આફતનો સામનો કરવાનો વખત આવ્યો છે. તોય તંત્ર ધ્વારા સબ સલામતના દાવા કરી જે રીતે દોડધામ કરી રહ્યું છે જોતા સ્થિતિ કઈ વિપરીત હોવાનું નકારી શકાય એમ નથી. ત્યારે આજે મ્યુનિસિપલ કમિશનર જે. એન. વાઘેલાએ સત્તાવાર ટાઈફોડના આંકડા જાહેર કર્યા છે. કમિશનરના દાવા મુજબ આજે વધુ 9 નવા કેસ નોંધાતા મનપાના ચોપડે ટાઇફોઇડના કુલ દર્દીઓની સંખ્યા 153 પર પહોંચી છે. હાલમાં 84 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે અત્યાર સુધીમાં 69 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. જોકે હજી પણ ખાનગી દવાખાનામાં દાખલ દર્દીઓ તેમજ પ્રાઇવેટ લેબમાં થતા વીડાલ ટેસ્ટોની વિગતો સત્તાવાર જાહેર કરવામાં આવતી નથી. 85 ટીમો દ્વારા 8800 ઘરોનો સર્વે કરાયોજ્યારે આરોગ્ય વિભાગની 85 ટીમો દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં 8,800 થી વધુ ઘરોનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાં ક્લોરીન ટેબ્લેટ અને ઓઆરએસના પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.શહેરમાં 45 જેટલા પાણીના લીકેજ શોધીને તેનું તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવ્યું છે. પીવાના પાણીમાં ક્લોરીનનું પ્રમાણ જળવાઈ રહે તે માટે 2,500 થી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પાણી જન્ય રોગચાળો વકરતો અટકાવવા માટે શહેરના તમામ વિસ્તારોમાં ખુલ્લી ખાણી-પીણી, ખાસ કરીને પાણીપુરી, રગડા-પેટીસ, આઈસ્ક્રીમ અને બરફના ગોળાના વેચાણ પર કડક દેખરેખ અને તપાસ શરૂ કરવામાં આવી છે.મ્યુનિસિપલ કમિશનર દ્વારા લોકોને પાણી ઉકાળીને પીવા, બહારનો ખોરાક ન ખાવા અને હાથની સ્વચ્છતા રાખવા ખાસ સૂચના આપવામાં આવી છે. કમિશનર પાણી શુદ્ધ હોવાનો દાવો કરે છે તો પીને બતાવે- આપજોકે આમ આદમી પાર્ટીનું કહેવું છેકે રોગચાળાની સ્થિતિ કાબુમાં જ હોય તો આરોગ્યની ટીમોની ફૌજ કેમ ઉતારવામાં આવી છે. આજે આદમી પાર્ટીના એકમાત્ર ચૂંટાયેલા કાઉન્સિલર તુષાર પરીખે અસરગસ્ત વિસ્તારની પાર્ટીના ડોકટર હાર્દિક તલાટી સહિતના કાર્યકરો સાથે મુલાકાત લીધી હતી. તેમણે એક ઘરેથી પાણી બોટલમાં ભરીને કમિશનર જે.એન. વાઘેલાને ચેલેન્જ કરી છેકે, જો કમિશનર પાણી શુધ્ધ હોવાનો દાવો કરે છે તો આ પાણી પીને બતાવે.
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેક ગુપ્તાએ આજે ઉચ્ચ અધિકારીઓ સાથે અમદાવાદથી પાલનપુર રેલવે સેક્શનનું વાર્ષિક નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે રેલવે ટ્રેક, બ્રિજ અને લેવલ ક્રોસિંગની સુરક્ષાની ઝીણવટભરી તપાસ કરી આગામી સમયમાં મુસાફરોની સુવિધા અને કનેક્ટિવિટી વધારવા માટે અનેક મહત્વની જાહેરાતો કરી હતી. આ નિરીક્ષણ દરમિયાન તેમની સાથે રાજ્યસભાના સાંસદ મયંક નાયક અને સ્થાનિક ધારાસભ્યો પણ જોડાયા હતા. ટ્રેનોની સંખ્યા 256થી વધારીને 450 કરવાનું આયોજનજીએમ વિવેક ગુપ્તાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રેલવે વિભાગ મુસાફરોની વધતી માગને પહોંચી વળવા માટે કટિબદ્ધ છે. જેના ભાગરૂપે આગામી પાંચ વર્ષમાં પશ્ચિમ રેલવેમાં દોડતી ટ્રેનોની સંખ્યા વર્તમાન 256થી વધારીને 450 કરવાનું આયોજન છે. આ ઉપરાંત, અમદાવાદ અને સાબરમતી રેલવે સ્ટેશનના આધુનિકીકરણ અને પ્લેટફોર્મ નવીનીકરણની કામગીરી માર્ચ 2026 સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે, જેનાથી ટ્રેનોની અવરજવર વધુ સુગમ બનશે. બ્રોડગેજ લાઇન પર નવી ટ્રેનો શરૂ કરાશેરેલવેને લેવલ ક્રોસિંગ મુક્ત બનાવવાના લક્ષ્યાંક સાથે હવે ફાટકોની જગ્યાએ ROB અને RUB બનાવવાની કામગીરીને પ્રાથમિકતા અપાશે, જેનો તમામ ખર્ચ રેલવે પોતે ઉઠાવશે. વધુમાં, અધિરાજ મોટીથી વિજાપુર અને આંબલીયાસણ ટ્રેકનું CRS ઇન્સ્પેક્શન પૂર્ણ થતાં આ બ્રોડગેજ લાઇન પર ટૂંક સમયમાં નવી ટ્રેનો શરૂ કરાશે. મુસાફરોને મોલ-રેસ્ટોરન્ટ જેવી હાઈ-ક્લાસ સુવિધા મળશેરાજ્યસભાના સાંસદ મયંક નાયકે જણાવ્યું હતું કે, શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા બ્રિજ અને રોડના કામોને મંજૂરી મળી ગઈ છે. ટીબી રોડ પર બે નવા RUB બનાવવાની કામગીરી પણ ટૂંક સમયમાં હાથ ધરાશે. ભવિષ્યમાં મહેસાણા રેલવે સ્ટેશનને અત્યાધુનિક બનાવી ત્યાં મુસાફરો માટે મોલ અને રેસ્ટોરન્ટ જેવી હાઈ-ક્લાસ સુવિધાઓ ઊભી કરવામાં આવશે. અંબાજી-આબુરોડ રેલવે લાઇનનું કામ પણ હાલ પ્રગતિમાં છે. જનપ્રતિનિધિઓએ આંબલીયાસણ જેવા વિસ્તારોમાં પાણીના નિકાલ જેવી સ્થાનિક સમસ્યાઓનો રેલવે તંત્ર સાથે સંકલન સાધીને ઝડપી ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. રેલવે તંત્ર અને જનપ્રતિનિધિઓના આ સંયુક્ત પ્રયાસોથી આગામી સમયમાં ઉત્તર ગુજરાતના રેલવે માળખામાં મોટા પરિવર્તનો જોવા મળશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી મિલકત વેરાની વસૂલાત ઝડપી બનાવવા અને કરદાતાઓને વ્યાજમાં મોટી રાહત આપવા માટે 1 જાન્યુઆરીથી 31 માર્ચ 2026 સુધી જાહેર કરાયેલી 'વ્યાજ માફી યોજના'ને શહેરના નાગરિકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. યોજના શરૂ થયાના માત્ર 7 જ દિવસમાં એટલે કે 1 થી 7 જાન્યુઆરી 2026 દરમિયાન કુલ 24,887 કરદાતાઓએ લાભ લઈ રૂ.24.01 કરોડનો મિલકત વેરો ભર્યો છે. 7 ઝોનમાં 24,887 કરદાતાઓએ મિલકતવેરો ભર્યોAMCના તમામ સાત ઝોનમાંથી નોંધપાત્ર વસૂલાત આવેલ છે. મધ્ય ઝોનમાં 2380 કરદાતાઓએ રૂ.3.60 કરોડ, ઉત્તર ઝોનમાં 3243 કરદાતાઓએ રૂ.1.76 કરોડ, દક્ષિણ ઝોનમાં 4550 કરદાતાઓએ રૂ.2.40 કરોડ, પૂર્વ ઝોનમાં 4803 કરદાતાઓએ રૂ.2.90 કરોડ, પશ્ચિમ ઝોનમાં 1988 કરદાતાઓએ રૂ.2.84 કરોડ, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 4856 કરદાતાઓએ રૂ.5.89 કરોડ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 3067 કરદાતાઓએ રૂ.4.63 કરોડનો મિલકત વેરો ભર્યો છે. બાકી મિલકતવેરાની ચૂકવણી પર 75 થી 100 ટકા વ્યાજમાફીAMC દ્વારા જાહેર કરાયેલી આ યોજના હેઠળ જૂની ટેક્સ ફોર્મ્યુલા મુજબની રહેણાંક અને બિનરહેણાંક (કોમર્શિયલ) બંને પ્રકારની મિલકતો માટે જાન્યુઆરીથી માર્ચ 2026 દરમિયાન 100 ટકા વ્યાજ માફી આપવામાં આવશે. નવી ટેક્સ ફોર્મ્યુલા મુજબ રહેણાંક મિલકતો માટે જાન્યુઆરીમાં 85 ટકા, ફેબ્રુઆરીમાં 80 ટકા અને માર્ચમાં 75 ટકા વ્યાજ માફી મળશે. દર મહિને વ્યાજ માફીમાં 5 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી વહેલી ચૂકવણી કરનારને વધુ લાભ મળે છે. નવી ટેક્સ ફોર્મ્યુલા મુજબ બિનરહેણાંક મિલકતો માટે જાન્યુઆરીમાં 65 ટકા, ફેબ્રુઆરીમાં 60 ટકા અને માર્ચમાં 50 ટકા વ્યાજ માફી આપવામાં આવશે. આ ઉપરાંત, શહેરની તમામ ચાલી તથા ઝૂંપડાવાળી રહેણાંક મિલકતોને પણ 1 જાન્યુઆરીથી 31 માર્ચ 2026 દરમિયાન મિલકત વેરાના વ્યાજમાં 100 ટકા માફી આપવામાં આવશે. જો કે, વર્ષ 2025–26ના ચાલુ વર્ષના મિલકત વેરા માટે આ ઈન્સેન્ટિવ રીબેટ યોજના લાગુ નહીં પડે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ વ્યાજ માફી યોજનાથી એક તરફ બાકી મિલકત વેરાની વસૂલાતમાં નોંધપાત્ર વધારો થવાની સાથે બીજી તરફ શહેરના કરદાતાઓને વ્યાજમાં મોટી આર્થિક રાહત મળશે.
દાહોદ જિલ્લાના લીમખેડા પંથકમાં ચકચારી બનેલા ચેક રિટર્ન કેસમાં આજે મહે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે મહત્વનો ફેંસલો સંભળાવ્યો છે. ગુરુ ગોવિંદ લીમડી તાલુકાના થાળા ગામના પૂર્વ સરપંચ અને આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતા રાજેશ ડામોરને ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 હેઠળ દોષિત ઠેરવી 1 વર્ષની સાદી કેદની સજા અને રૂ. 5,00,000નો દંડ ફટકાર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ લીમખેડાના વેપારી ચેતનકુમાર ચંદ્રકાન્ત શાહ (મે. જોરાવરમલ સુરજમલ એન્ડ સન્સ) પાસેથી આરોપી રાજેશ ડામોરે વર્ષ 2018માં સ્ટીલ, સિમેન્ટ અને મશીનરી સહિતનો રૂ.6.08 લાખનો સામાન ખરીદ્યો હતો. જે પૈકી બાકી નીકળતી રકમ પેટે આરોપીએ રૂ.5 લાખનો ચેક આપ્યો હતો. આ ચેક બેંકમાં જમા કરાવતા 'ફંડ ઇન્સફિસિયન્ટ'ના શેરા સાથે પરત ફર્યો હતો. વેપારીએ વકીલ પી.પી. જૈન મારફતે નોટિસ મોકલવા છતાં નાણાં ન મળતા વર્ષ 2021માં કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસ આશરે 4 વર્ષ સુધી ચાલ્યો હતો. ફરિયાદી પક્ષે રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા અને મૌખિક જુબાનીઓને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. ચુકાદાના દિવસે આરોપી ગેરહાજર હોવા છતાં અદાલતે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 392(7) હેઠળ સત્તાનો ઉપયોગ કરી આરોપીની ગેરહાજરીમાં જ સજા સંભળાવી હતી. જેમાં આરોપીને 1 વર્ષની સાદી કેદ અને ચેકની પૂરેપૂરી રકમ રૂ. 5,00,000નો દંડની સજા ફાટકારી હતી. જો આરોપી દંડ ન ભરે તો વધુ 3 માસની જેલની સજા ભોગવવી પડશે.સજા પામનાર રાજેશ ડામોર લીમડી વિસ્તારમાં આમ આદમી પાર્ટીના સક્રિય નેતા હોવાથી આ ચુકાદાની અસર રાજકીય વર્તુળોમાં પણ જોવા મળી રહી છે. પૂર્વ સરપંચ જેવા જવાબદાર હોદ્દા પર રહીને વેપારી સાથે વિશ્વાસઘાત કરવા બદલ કોર્ટે કરેલી આ કડક કાર્યવાહીથી કાયદાનું શાસન પ્રસ્થાપિત થયું હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. સજા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
પાટણના હરિ સેવા પરિવાર દ્વારા મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે શિવ મહાપુરાણ કથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથા મહાકાલેશ્વર દાદાના સાનિધ્યમાં યોજાઈ હતી.પાટણના કથાકાર શાસ્ત્રી દિલીપભાઈ આચાર્યએ શિવ મહાપુરાણ કથાનું રસપાન કરાવ્યું હતું. તેમણે ભાવિકોને શિવભક્તિમાં લીન કર્યા હતા. આ કથાના મનોરથી તરીકે સ્વ. મનજીભાઈ મનોરદાસ પટેલ સાગોડિયા પરિવારે લાભ લીધો હતો. તેમના ઉપક્રમે પાટણના એકસો ભક્તોએ ઉજ્જૈન મહાકાલની યાત્રા કરી અને કથામૃતનું શ્રવણ કર્યું.મનોરથી પરિવારના સભ્ય અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે, હરિ સેવા પરિવારના આયોજકો દ્વારા આ પ્રસંગ માટે સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા આજથી અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા માટે અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
ગુજરાતની શાળાઓમાં ચિત્ર, સંગીત અને વ્યાયામ વિષયોના શિક્ષકોની કાયમી ભરતી થવાના અણસાર આવ્યા છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં છેલ્લા દોઢ દાયકાથી પેન્ડિંગ રહેલો કાયમી ભરતીનો પ્રશ્ન હવે ઉકેલાય તેવી શક્યતા છે. રાજકીય પક્ષો અને ધારાસભ્યો સહિતની સતત રજૂઆતો અને નોકરીવાંચ્છિત ઉમેદવારોના લાંબા આંદોલન બાદ આ સફળતા મળી શકે છે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને કમિશનર શાળાઓની કચેરીએ આ મહત્વપૂર્ણ નિર્ણય અંગે પત્ર પાઠવ્યો છે. ધારાસભ્ય ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું કે, હું વિપક્ષનો ધારાસભ્ય હોવા છતાં મારી રજૂઆતને ગંભીરતાથી લઈ ભાવિ શિક્ષકોના હિતમાં નિર્ણય લેવા બદલ હું સરકારનો આભારી છું. 15 વર્ષથી ચાલી રહેલી લડતનો આજે અંત આવ્યો છે, તે બદલ હું હજારો ઉમેદવારો વતી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીનો આભાર માનું છું. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પણ દોડી ગયેલારાજ્યમાં છેલ્લા 15 વર્ષથી ચિત્ર, સંગીત અને વ્યાયામના શિક્ષકો કાયમી ભરતીની માંગ સાથે લડત ચલાવી રહ્યા હતા. આ માંગણીઓને લઈને ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે અનેકવાર આંદોલનો અને ઉપવાસ પણ કરવામાં આવ્યા હતા. આ લડતમાં ધારાસભ્ય ઉમેશ મકવાણાએ શરૂઆતથી જ ઉમેદવારોને પોતાનું સમર્થન આપ્યું હતું. ધારાસભ્યની લેખિત અને મૌખિક રજૂઆતોઆ મુદ્દે ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાને રૂબરૂ મળીને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હતી. તેઓ ભાવિ શિક્ષકોના પ્રમુખો અને પ્રતિનિધિ મંડળ સાથે સતત સરકારના સંપર્કમાં રહ્યા હતા. વિપક્ષના ધારાસભ્ય હોવા છતાં, વિદ્યાર્થીઓ અને શિક્ષકોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી તેમની રજૂઆતને સરકારે સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. કમિશનર શાળાઓની કચેરીની સત્તાવાર જાણમુખ્યમંત્રીના આદેશ બાદ કમિશનર શાળાઓની કચેરી દ્વારા ધારાસભ્ય ઉમેશ મકવાણાને સત્તાવાર પત્ર પાઠવી જાણ કરવામાં આવી છે કે, હવે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ ત્રણેય વિષયોના શિક્ષકોની કાયમી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યના હજારો લાયક ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને શિક્ષણ ક્ષેત્રે કલા તથા શારીરિક શિક્ષણને નવું બળ મળશે તેવી આશા સેવાઈ રહી છે.
ગુજરાત પોલીસમાં જોડાવાનું સપનું જોતા લાખો યુવાનો માટે મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગના વર્ગ-3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક દળ (LRD) કેડરની કુલ 13,591 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ આગળ વધારો થયો છે. ભરતી બોર્ડે આ જગ્યાઓ માટેની શારીરિક કસોટીની તારીખો જાહેર કરી દીધી છે. ભરતી બોર્ડની જાહેરાત અનુસાર, PSI અને LRD માટેની ફિઝિકલ ટેસ્ટ આગામી 21 જાન્યુઆરીથી શરૂ થશે. રાજ્યના વિવિધ કેન્દ્રો પર ઉમેદવારોની દોડ, ઉંચાઈ-છાતી માપ તેમજ અન્ય શારીરિક કસોટીઓનું આયોજન કરવામાં આવશે. લાંબા સમયથી ભરતી પ્રક્રિયાની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આ સમાચાર રાહતરૂપ સાબિત થયા છે. 9 જાન્યુઆરીથી કોલ લેટર ઉપલબ્ધ થશેભરતી બોર્ડે વધુમાં જણાવ્યું છે કે, શારીરિક કસોટી માટેના કોલ લેટર 9 જાન્યુઆરીથી ઉપલબ્ધ કરવામાં આવશે. ઉમેદવારો અધિકૃત વેબસાઇટ પરથી પોતાનું કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. કોલ લેટરમાં ઉમેદવારની પરીક્ષા તારીખ, સમય, કેન્દ્ર તેમજ જરૂરી સૂચનાઓ આપવામાં આવશે. લાખો ઉમેદવારો લેશે ભાગPSI અને LRD ભરતી માટે રાજ્યભરમાંથી લાખો યુવાનો અરજી કરી ચૂક્યા છે. આ ભરતીને લઈને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોલીસ દળમાં જોડાઈને રાજ્યસેવા કરવાનો અવસર મળતા યુવાનો લાંબા સમયથી તૈયારીમાં જોડાયેલા હતા. ભરતી બોર્ડની અપીલગુજરાત પોલીસ ભરતી બોર્ડે ઉમેદવારોને અપીલ કરી છે કે, કોલ લેટરમાં આપવામાં આવેલી તમામ સૂચનાઓનું પાલન કરે અને સમયસર પરીક્ષા કેન્દ્ર પર હાજર રહે. શારીરિક કસોટી દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ સહન કરવામાં આવશે નહીં. PSI-LRD ભરતીની શારીરિક કસોટી સાથે ગુજરાત પોલીસમાં ભરતી પ્રક્રિયાએ હવે ગતિ પકડી છે, જે રાજ્યના યુવાનો માટે નવી આશા લઈને આવી છે.
જૂનાગઢ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની મીલીભગતથી મોટા પાયે ખનીજ ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હોવાના સ્ફોટક આક્ષેપો ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કર્યા છે. ધારાસભ્યના જણાવ્યા મુજબ, જૂનાગઢના ચોરવાડ અને કુકસવાડા પંથકમાં ખનીજ માફિયાઓ દ્વારા સરકારી તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, ધારાસભ્ય દ્વારા ઉચ્ચ અધિકારીઓ અને ગાંધીનગર કક્ષાએ પુરાવા અને લોકેશન મોકલવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી, જેને લઈ અધિકારીઓની કાર્યપ્રણાલી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લાના કુકસવાડા અને ચોરવાડ ગામની સીમમાં ખનીજ માફિયાઓ કોઈ પણ ડર વગર બેફામ રીતે ખનીજની લૂંટ ચલાવી રહ્યા છે. ખાસ કરીને કુકસવાડા ગામના સર્વે નંબર 83 અને ચોરવાડ ગામના સર્વે નંબર 571/2, 550/1, 608/4/2 અને 562 પર દિવસ-રાત ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આ જગ્યાઓ પર ખનીજ ચોરો દ્વારા અધિકારીઓની મિલીભગતથી ખનીજ ચોરી આચરવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપ તેમણે કર્યા છે. ધારાસભ્યએ ઉમેર્યું કે તેમણે જૂનાગઢ ખાણ ખનીજ વિભાગના અધિકારી કિરણ પરમાર અને ગુજરાતના કમિશનર ધવલ પટેલને ટેલિફોનિક તેમજ વોટ્સએપ દ્વારા ખનીજ ચોરી થતી જગ્યાઓના લાઈવ લોકેશન મોકલ્યા હતા. વારંવાર લેખિત રજૂઆતો કરવા છતાં ખનીજ માફિયાઓ વિરુદ્ધ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ધારાસભ્યએ વધુમાં ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે અગાઉ જ્યારે મુખ્યમંત્રી જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા તે સમયે જ અધિકારીઓ દ્વારા બેફામ ખનીજ ચોરીની છૂટ આપવામાં આવી હતી. હવે જ્યારે આગામી 10 જાન્યુઆરીના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે ફરી એકવાર ખનીજ માફિયાઓને મોકળું મેદાન પૂરું પાડવામાં આવ્યું છે. વડાપ્રધાનના આગમન પૂર્વે જ ખનીજ વિભાગના ભ્રષ્ટાચારી અધિકારીઓ અને ભૂ-માફિયાઓ વચ્ચેની સાંઠગાંઠને કારણે ખનીજ ચોરીના ગ્રાફમાં તોતિંગ ઉછાળો આવ્યો છે. ધારાસભ્યએ ચીમકી ઉચ્ચારી છે કે તેઓ આ સમગ્ર મામલે લેખિતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરશે અને ભ્રષ્ટાચારી અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહીની માંગ કરશે. ખનીજ વિભાગની બેવડી નીતિ પર પ્રહાર કરતા વિમલ ચુડાસમાએ જણાવ્યું કે જે જગ્યા પર મોટા પાયે ખનીજ ચોરી થાય છે ત્યાં કોઈ અધિકારી ફરકવાની હિંમત કરતું નથી. ખાણ ખનીજ વિભાગ માત્ર નાના વાહનચાલકો કે મજૂરોને દંડ કરીને સંતોષ માને છે, જ્યારે મોટા ‘મગરમચ્છો’ ને છૂટો દોર આપવામાં આવે છે. જો કોઈ ગરીબ ખેડૂત પોતાના ખેતર માટે એકાદ ટ્રેક્ટર માટી ભરીને જતો હોય તો તેના પર કાયદાનો કોરડો વીંઝવામાં આવે છે, પરંતુ હપ્તાખોરીમાં ડૂબેલા અધિકારીઓ ખનીજ માફિયાઓને 24 કલાક ચોરી કરવાની જાહેરમાં છૂટ આપી રહ્યા છે. તેમણે ગેરકાયદેસર ખાણોમાં કામ કરતા મજૂરો અને ટ્રેક્ટર ધારકોને પણ અપીલ કરી છે કે તેઓ આવી પ્રવૃત્તિઓનો ભાગ ન બને. ધારાસભ્યની માંગ છે કે જે જે સર્વે નંબર પર ખનીજ ચોરી થઈ રહી છે તેની સરકારી નીયમો અનુસાર માપણી કરવામાં આવે, ભૂ-માફિયાઓને મસમોટો દંડ ફટકારવામાં આવે અને જે માલ ચોરી થયો છે તે ક્યાં વેચાયો છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરી એફઆઈઆર નોંધવામાં આવે. તેમણે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની ભ્રષ્ટાચારી નીતિને કારણે સરકારની ગ્રાન્ટ અને ખનીજ સંપત્તિનું ખુલ્લેઆમ ધોવાણ થઈ રહ્યું હોવાનો અફસોસ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ આ ગંભીર આક્ષેપો અંગે જૂનાગઢ ખાણ ખનીજ વિભાગના અધિકારી કિરણ પરમારે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. તેમણે ધારાસભ્યના તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવતા કહ્યું હતું કે વિમલભાઈ ચુડાસમા જ્યારે પણ કોઈ લોકેશન શેર કરે છે ત્યારે અમારી ટીમ ત્યાં જઈને કાયદેસરની તપાસ કરે છે. ધારાસભ્ય દ્વારા લખવામાં આવેલા તમામ પત્રોના વિગતવાર જવાબો તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે. અધિકારીએ વધુમાં બચાવ કરતા જણાવ્યું કે ખાણ ખનીજ વિભાગમાં હાલ સ્ટાફની ભારે અછત છે, જેના કારણે ક્યારેક કાર્યવાહી કરવામાં વિલંબ થઈ શકે છે, પરંતુ તમામ કામગીરી કાયદાકીય રીતે જ કરવામાં આવી રહી છે અને ખનીજ ચોરો વિરુદ્ધ કાર્યવાહી સતત ચાલુ છે...
સુરેન્દ્રનગરમાં એક નાગરિકનો રૂ. 35,000નો Apple મોબાઈલ ફોન રસ્તામાં ખોવાઈ ગયો હતો. નેત્રમ શાખાના CCTV કેમેરાની મદદથી આ ફોન શોધી કાઢી તેના મૂળ માલિકને પરત કરવામાં આવ્યો છે. આ ઘટના 3 જાન્યુઆરી, 2026ના રોજ બની હતી. સુરેન્દ્રનગરના પટેલ હોમ્સમાં રહેતા રાહુલ શાંતિલાલ માટેલ પુનમ ભરવા જઈ રહ્યા હતા ત્યારે રાજકોટ બાયપાસ રોડ પર આવેલા એચ.પી. પેટ્રોલ પંપ, રતનપર પાસે તેમનો ફોન પડી ગયો હતો. ફોન ખોવાયાની જાણ થતાં, નેત્રમ શાખાએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. તેમણે પોતાના CCTV કેમેરા અને પેટ્રોલ પંપના ફૂટેજની તપાસ કરી હતી. તપાસ દરમિયાન, એક ફોરવ્હીલર ચાલકે ફોન લીધો હોવાનું સામે આવ્યું હતું, જેનો રજીસ્ટ્રેશન નંબર GJ-01-HS-9792 હતો. વાહન માલિકનો સંપર્ક સાધીને રાહુલભાઈ શાંતિલાલને તેમનો રૂ. 35,000નો Apple મોબાઈલ ફોન પરત કરવામાં આવ્યો હતો. પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમારના માર્ગદર્શન હેઠળ તથા PSI ડી.એલ. ઝેઝરીયાની સૂચનાથી 'તેરા તુજકો અર્પણ' અભિયાન અંતર્ગત આ કામગીરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
મોરબીમાં મચ્છુ નદીના પટમાં થયેલા ગેરકાયદેસર દબાણો પર મહાપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું. મહાપાલિકાની ટીમે આજે નદીના પટમાંથી કાચા-પાકા ઝૂંપડાં, લારી-ગલ્લા અને રેકડી સહિતના તમામ દબાણો દૂર કર્યા હતા. આ કાર્યવાહી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેની સૂચના મુજબ શરૂ કરવામાં આવી હતી. ડેપ્યુટી કમિશનરની હાજરીમાં મહાપાલિકાના કર્મચારીઓએ 'વન વોર્ડ વન વીક' અભિયાન અંતર્ગત આ દબાણો હટાવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ચોમાસા પહેલા નદીના પટ ખાલી કરાવવામાં આવે છે. જોકે, લાંબા સમયથી લોકો અહીં રહેતા હોવાથી અગાઉ દબાણ હટાવતી વખતે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ભવિષ્યમાં નદીના પટમાં કોઈપણ પ્રકારના દબાણો ન થાય તે સુનિશ્ચિત કરવા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લામાં બુધવારે રૂ. 1.27 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આશરે 36,800 બોટલોનો આ જથ્થો હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વિરપુર ગામની સીમમાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નષ્ટ કરાયો હતો. આ દારૂ સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈ, હિંમતનગર એ-ડિવિઝન, બી-ડિવિઝન અને ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા ચાર મહિના દરમિયાન પાસ-પરમિટ વિના પકડવામાં આવ્યો હતો. પોલીસે કુલ 103 ગુના નોંધી આ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હિંમતનગર ડિવિઝનના DYSP એ.કે. પટેલે જણાવ્યું હતું કે, જપ્ત કરાયેલા દારૂની ગણતરી કર્યા બાદ પોલીસ બંદોબસ્ત સાથે તેને વિરપુરની સીમમાં લાવવામાં આવ્યો હતો. ત્યાં રોલર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન હિંમતનગર પ્રાંત અધિકારી વિમલ ચૌધરી, હિંમતનગર મામલતદાર રોનકસિંહ પઢેરિયા, નશાબંધી અધિકારી એચ.વી. પટેલ, એ-ડિવિઝન PI પી.એમ. ચૌધરી, બી-ડિવિઝન PI એ.એમ. ચૌધરી, હિંમતનગર ગ્રામ્ય PI એચ.આર. હેરભા અને ગાંભોઈ PI એ.જે. ગોસ્વામી સહિતના અધિકારીઓ અને પોલીસ જવાનો હાજર રહ્યા હતા.
મોરબી-હળવદ હાઈવે પર ઘૂટું ગામ નજીક એક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રેલર પાછળ બીજા ટ્રેલરે ટક્કર મારી હતી. આ ઘટનામાં પાછળના ટ્રેલરના બોનેટનો ભૂક્કો બોલી ગયો હતો અને તેના ડ્રાઇવરને ઇજા થઈ હતી. અકસ્માત બપોરના સમયે બન્યો હતો. આગળ જઈ રહેલા ટ્રેલર પાછળ આવી રહેલા ટ્રેલરના ચાલકે નિયંત્રણ ગુમાવતા ટક્કર થઈ હતી. ઇજાગ્રસ્ત ડ્રાઇવરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતને કારણે મોરબી-હળવદ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ થયો હતો. ઘટનાની જાણ મોરબી તાલુકા પોલીસને કરવામાં આવી છે, અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી પંથકમાં ભારે વાહનોના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે, જેના પરિણામે ટ્રાફિક જામની સમસ્યા સામાન્ય બની ગઈ છે.
દસ વર્ષમાં સાંસદોની સંપત્તિમાં થયો ધરખમ વધારો સાંસદ પૂનમ માડમની સંપત્તિ 10 વર્ષમાં 17 કરોડથી વધીને 147 કરોડ પર પહોંચી,2014થી 2024 દરમિયાન રિપીટ થયેલા ગુજરાતના 6 સાંસદોની સંપત્તિમાં વધારો થયો છે. જો કે પાટિલની સંપત્તિમાં 47 ટકાનો ઘટાડો થયો છે.એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજરાત પોલીસમાં વર્ગ -3ની 950 જગ્યા પર ભરતી ગુજરાત પોલીસમાં ફરી ભરતી આવી. ટેક્નિકલ સેવાઓ હેઠળની 950 જગ્યાઓ માટે ભરતી કરાશે. ઉમેદવારો 9 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગણેશ ગોંડલનો નાર્કો રિપોર્ટ HCને સોંપાયો રાજકુમાર જાટ હત્યાકેસમાં ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટ રિપોર્ટ હાઈકોર્ટને સોંપવામાં આવ્યો.11 ડિસેમ્બરે નાર્કો ટેસ્ટ કરાયો હતો, જેમાં ગણેશ ગોંડલને 31 સવાલો પૂછાયા હતા. ગણેશે રાજકુમાર જાટને માર માર્યાનો કે તેની હત્યાના કાવતરાનો ઈનકાર કર્યો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મોરબી ભાજપ પ્રમુખ પર 350 કરોડ રુ.નું દેવુ મોરબી ભાજપ પ્રમુખ જયંતી રાજકોટિયા પર 350 કરોડનું દેવુ હોવાથી તેઓ વિદેશ ભાગી જવાના હોવાનો આક્ષેપ. જેનો ખુલાસો આપતા તેમણે કહ્યું કે તેઓ ક્યાંય ભાગી જવાના નથી.. 70 ટકા દેવું તેમણે ચૂકવી દીધું છે. અને બાકીના 125 કરોડ એક- બે વર્ષમા ચૂકવી દેશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મોલમાંથી ઝડપાઈ ડ્રગ્સ બનાવતી ફેક્ટરી સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં એક મોલમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. જે લંડનથી મેનેજ થતી હતી. કેમિસ્ટ્રીના માસ્ટર્સ યુવાનો બ્લુ ક્રિસ્ટલ નામનું ઘાતક ડ્રગ્સ તૈયાર કરી હાઈપ્રોફાઈલ પાર્ટીઝમાં પહોંચાડતા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વિરાટ કોહલી વડોદરા એરપોર્ટ પહોંચ્યા 11મી જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાનાર ઈન્ડિયા ન્યુઝિલેન્ડ વન ડે મેચ માટે વિરાટ કોહલી વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા. કોહલીની એક ઝલક મેળવવા મોટી સંખ્યામાં ફેન્સ એરપોર્ટ પહોંચ્યા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્રેમી યુગલ ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં મળ્યું સુરતના ઉમરપાડાના જંગલમાં યુગલે ફાંસો ખાધો. એક જ દુપટ્ટાથી બંને ઝાડ પર લટકી ગયા હતા. પ્રેમ પ્રકરણમાં બંનેએ આ પગલું ભર્યાની આશંકા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઉત્તરાયણને લઈને વિદ્યાર્થીઓનો સંકલ્પ ઉત્તરાયણને લઈ અમદાવાદના 5 લાખ વિદ્યાર્થીઓએ પ્રતિજ્ઞા લીધી કે તેઓ સવારે 9 પહેલા અને સાંજે 5 વાગ્યા પછી પતંગ નહીં ચગાવે... સાથે જ ચાઈનીઝ દોરીનો ઉપયોગ નહીં કરવાનો પણ સંકલ્પ કર્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અમદાવાદ બાદ સુરતમાં પાણીપૂરી વિક્રેતા પર દરોડા અમદાવાદ બાદ સુરતમાં પણ પાણીપૂરી વિક્રેતાઓ પર દરોડ પાડવામાં આવ્યા. 10 ઘરોમાંથી સડેલા બટાકા ચણાનો મસોલો અને, અનેક વાર તળેલા તેલમાંથી જ તળાયેલી પૂરીનો જથ્થો જપ્ત કરાયો છે. સાથે જ પાણીપૂરી વિક્રેતાઓને સ્થળ પર જ દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હજુ પડી શકે છે હાડ થીજવતી ઠંડી પાછલા 24 કલાકમાં નલિયા અને અમરેલીમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું. તો ગાંધીનગરમાં 12 અને અમદાવાદમાં 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું.આગામી સમયમાં હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
માર્ગ સલામતી માસ 2026ની ઉજવણીના ભાગરૂપે, લુણાવાડા આઈ.ટી.આઈ. ખાતે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ એઆરટીઓ લુણાવાડા અને મહીસાગર જિલ્લા ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ પ્રસંગે, સંસ્થાના વિદ્યાર્થીઓને રોડ સેફ્ટી અંગેની ફિલ્મ પ્રોજેક્ટર પર બતાવવામાં આવી હતી. તેમને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને માર્ગ અકસ્માતો નિવારવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ માર્ગ સલામતીના પાયાના નિયમો સમજાવી શિસ્તબદ્ધ ડ્રાઈવિંગનો આગ્રહ રાખવા અપીલ કરી હતી. કાર્યક્રમ અંતર્ગત, 'રાહવીર' અને 'હિટ એન્ડ રન' જેવી સરકારી સહાય યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને આ યોજનાઓ સંબંધિત પેમ્પ્લેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આગામી ઉતરાયણ પર્વને ધ્યાનમાં રાખીને, પતંગના દોરાથી થતા જીવલેણ અકસ્માતો રોકવા માટે વિશેષ પગલાં લેવાયા હતા. ટુ-વ્હીલર પર સેફ્ટી ગાર્ડ પણ લગાડવામાં આવ્યા હતા. વાહન ચાલકોની સુરક્ષા માટે લેવાયેલા આ પગલાંનો મુખ્ય હેતુ તહેવાર દરમિયાન જાનહાનિ ટાળવાનો અને સલામત મુસાફરી સુનિશ્ચિત કરવાનો રહ્યો હતો.
સુરતના ઉધના વિસ્તારમાં મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી ઘટના સામે આવી છે. શહેરના સોનલ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં રહેતા અને મજૂરીકામ કરતા મહેશ ઉર્ફે રાજા બિહારી નામના યુવક પર 7થી 8 શખસોએ પાઇપ અને ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. લોહીલુહાણ હાલતમાં રાજા બિહારીને ઉધના દરવાજાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, રાજા બિહારી પોતે રીઢો ગુનેગાર છે અને તેની સામે શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ અને લૂંટ જેવા આશરે 22 ગંભીર ગુના નોંધાયેલા છે. રૂપિયા 50 હજારની લેતીદેતીમાં 'પોલાદ તિવારી' ગેંગ દ્વારા હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે. રાજા બિહારીને હુમલાખોરોએ રસ્તા પર દોડાવી દોડાવીને માર માર્યોઆ લોહિયાળ હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, 7થી 8 હુમલાખોરો હાથમાં 4થી 5 ફૂટ લાંબા લાકડાના દંડા અને લોખંડની પાઈપ લઈને રાજા બિહારીને રસ્તા પર દોડાવી દોડાવીને માર મારે છે. હુમલાખોરોએ જાણે મોતનો તાંડવ ખેલ્યો હોય તેમ સોસાયટીના ગેટ પાસે તેને આંતરી લીધો હતો. આ દૃશ્યો જોઇને આસપાસના રહીશોમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. હુમલાખોરો હથિયારો સાથે બે કારમાં ધસી આવ્યા હતા. 50 હાજર રૂપિયાની લેતીદેતી જીવલેણ હુમલોઘટનાની પાછળ 50 હાજર રૂપિયાની લેતીદેતી જવાબદાર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. રાજા બિહારીના ભાઈ હિતેશ ગુપ્તાએ નોંધાવેલી ફરિયાદ મુજબ રાજા બિહારીએ આરોપી રાઘવ ઉર્ફે પોલાદ તિવારીની 50 હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા. આ નાણા પરત માગતા બંને વચ્ચે ટેલિફોનિક બોલાચાલી થઈ હતી અને ગાળાગાળી સુધી વાત પહોંચી હતી. આ વાતનો ખાર રાખી રાઘવ ઉર્ફે પોલાદ તિવારીએ તેના સાગરીતો શિવમ દુબે, પ્રખર ઉર્ફે બોક્સર અને પંકજ યાદવ સહિતની ટોળકીને બોલાવી રાજા બિહારી પર હુમલો કરવાનું કાવતરૂં ઘડ્યું હતું. ઉપરાછાપરી ચપ્પુના ઘા મારતા રાજા બિહારી ઢળી પડ્યોરાજા બિહારી તેના ભાઈ અને મિત્રો સાથે દત્ત કુટીર નજીક ઊભો હતો ત્યારે બે કારમાં આવેલા શખસો ચપ્પુ અને લોખંડના રોડ સાથે તૂટી પડ્યા હતા. રાજાને ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંક્યા અને માથામાં લોખંડનો રોડ મારવામાં આવતા તે લોહીલુહાણ થઈ ઢળી પડ્યો હતો. વધારે પડતું લોહી વહી જવાને કારણે તેની હાલત નાજુક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હુમલાખોરો રાજાને જીવતો છોડવાના મૂડમાં ન હોય તેમ સીસીટીવીમાં પાઈપો ઝીંકતા નજરે પડ્યા હતા. પરિવારની આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગઉધના પોલીસે આ મામલે હિતેશ ગુપ્તાની ફરિયાદના આધારે રાઘવ ઉર્ફે પોલાદ અને તેની ટોળકી સામે જીવલેણ હુમલાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ રાજા બિહારીના પરિવારજનોએ હોસ્પિટલ ખાતે એકઠા થઈને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માગ કરી છે. એક તરફ 22 ગુનાનો આરોપી ભોગ બન્યો છે અને બીજી તરફ હુમલો કરનાર પણ ગુનાહિત માનસ ધરાવે છે, ત્યારે ઉધના વિસ્તારમાં આ ઘટનાને પગલે ગેંગવોર જેવી સ્થિતિ સર્જાઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
આજના અત્યાધુનિક ટેકનોલોજી અને ભૌતિક સુવિધાઓથી સજ્જ યુગમાં માનવી સાધનો પાછળ દોડી રહ્યો છે, પરંતુ આ દોડમાં તે આંતરિક શાંતિ અને કૌટુંબિક મૂલ્યો ગુમાવી રહ્યો છે. સમાજમાં વધતો જતો તણાવ, તૂટતા પરિવારો અને મૂલ્યોના હ્રાસ વચ્ચે માનવ જીવનને સાચી દિશા આપવા માટે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા એક વિશિષ્ટ પહેલ કરવામાં આવી છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી મહેસાણામાં રાધનપુર ચોકડી સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે 5 દિવસીય ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આધ્યાત્મિક મહોત્સવ આગામી 8 થી 12 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાશે. દરરોજ રાત્રે 8:30 થી 11:00 કલાક સુધી ચાલનારા આ કાર્યક્રમમાં જ્ઞાન, ભક્તિ અને જીવન ઉત્કર્ષનો સંગમ જોવા મળશે. મહોત્સવના મુખ્ય વક્તા તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પ્રેરક વક્તા અને વિદ્વાન સંત પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી ઉપસ્થિત રહેશે. તેઓ પોતાની પ્રભાવશાળી શૈલીમાં સંસ્કારયુક્ત પેરેન્ટિંગ માટે નવી પેઢીનું ઘડતર કેવી રીતે કરવું? માનવીય સંબંધો માટે કૌટુંબિક તિરાડો સાંધીને પ્રેમના તાંતણે કેવી રીતે બંધાવું? સંકલ્પશક્તિ અને શ્રદ્ધા, જીવનના પડકારો સામે મજબૂત મનોબળ અને ઈશ્વર પર અતૂટ વિશ્વાસ અને રાષ્ટ્રપ્રેમ વિષય પર સમાજ અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં નાગરિકોનું યોગદાન જેવા પાયાના વિષયો પર માર્ગદર્શન આપશે ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયમાં હત્યા, આત્મહત્યા અને ભ્રષ્ટાચાર જેવી ઘટનાઓ માનસિક અસંતુલનનો સંકેત આપે છે. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય માનવીને તેની આંતરિક શક્તિનું ભાન કરાવી સકારાત્મક વિચારધારા તરફ વાળવાનો છે. આ કાર્યક્રમ તમામ વયના લોકો, વ્યવસાયીઓ અને સમાજના દરેક વર્ગ માટે જીવન પરિવર્તન કરનારો સાબિત થશે. BAPS સ્વામિનારાયણ મંદિર, મહેસાણા દ્વારા આ ધર્મલાભ લેવા માટે જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મહીસાગર સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો માટે ગોલ્ડન તથા સિલ્વર નંબર સીરીઝની ઓનલાઈન હરાજી શરૂ કરવામાં આવશે. આ હરાજીમાં ટુ-વ્હીલર માટે GJ-35-BB સીરીઝના તમામ નંબર અને ફોર-વ્હીલર માટે GJ-35-N તથા GJ-35-AA જૂની સીરીઝના ગોલ્ડન અને સિલ્વર નંબર ઉપલબ્ધ રહેશે. દિવ્યાંગજન માલિકીના વાહનો (એડેપ્ટેડ હોય કે ન હોય) પણ સંબંધિત ક્લાસમાં હરાજીમાં ભાગ લઈ શકશે. ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા 14 જાન્યુઆરી, 2026 ના રોજ સાંજે 04:00 કલાકથી શરૂ થશે અને 18 જાન્યુઆરી, 2025 ના રોજ સાંજે 03:59 કલાક સુધી ચાલશે. ઈ-ઓક્શન 18 જાન્યુઆરી, 2025 થી શરૂ થઈને 20 જાન્યુઆરી, 2025 ના રોજ સાંજે 04:00 કલાક સુધી ચાલશે. પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવીને http://parivahan.gov.in/fancy વેબસાઈટ પર નોંધણી, યુઝર આઈ.ડી. અને પાસવર્ડ મેળવવાનો રહેશે. વાહન વ્યવહાર કમિશ્નરની કચેરીના પરિપત્ર ક્રમાંક નં. આઈ.ટી/પસંદગીનંબર/ઓનલાઈન ઓક્શન/7421, તા. 12/10/2017 ના Appendix-A માં આપેલી સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઇનવોઇસની તારીખ અથવા વીમાની તારીખ, આ બેમાંથી જે વહેલું હોય તે તારીખથી 7 દિવસની અંદર www.parivahan.gov.in વેબસાઈટ પરથી CNA ફોર્મ ભરી લેવું ફરજિયાત છે. આ અરજી કર્યાની તારીખથી 60 દિવસ સુધી અમલી ગણાશે. જો 60 દિવસમાં અરજદાર કોઈ નંબર મેળવી શકશે નહીં અથવા ઉપલબ્ધ નંબરોમાંથી પસંદગીનો નંબર ફાળવી શકાશે નહીં, તો અરજી તારીખથી ગણતા 60 દિવસના છેલ્લા દિવસે રજીસ્ટ્રેશન ઓથોરીટી દ્વારા રેન્ડમ પદ્ધતિથી નંબર ફાળવી દેવામાં આવશે, જેની સામે અરજદાર કોઈ વાંધો લઈ શકશે નહીં. ખાસ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ 60 દિવસની મર્યાદા અરજદારને માત્ર વધુ ઓક્શનમાં ભાગ લેવાની તક આપવાના હેતુથી આપવામાં આવી છે. કામચલાઉ નોંધણી પ્રમાણપત્રની 30 દિવસની મર્યાદામાં વધારો કરવાની કોઈ જોગવાઈ નિયમોમાં નથી. કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર પૂરું થયા પછી વાહન અનરજીસ્ટર્ડ ગણાશે અને નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે. અરજદારે હરાજીની પ્રક્રિયા પૂરી થયાના 5 દિવસમાં બીડ એમાઉન્ટના નાણાં જમા કરાવવાના રહેશે. જો અરજદાર નિયત મર્યાદામાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જશે, તો મૂળ ભરેલી રકમ (Base Price) જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે, જેમાં અરજદાર કોઈ વાંધો લઈ શકશે નહીં. ઓનલાઈન ઓક્શન દરમિયાન અરજદારે આર.બી.આઈ. દ્વારા નક્કી કરેલ દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. અસફળ અરજદારોને રિફંડ SBI e-pay દ્વારા તેમના ખાતામાં પરત કરવામાં આવશે.
વિદ્યાનગરમાં 48 એકમો પાસેથી 2.40 લાખનો દંડ વસૂલ:જાહેર માર્ગ પર દબાણ બદલ કરમસદ-આણંદ મનપાની કાર્યવાહી
કરમસદ-આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે વિદ્યાનગર વિસ્તારમાં જાહેર માર્ગો પરના દબાણ સામે કાર્યવાહી કરી છે. આ ઝુંબેશ અંતર્ગત 48 એકમો પાસેથી કુલ રૂ. 2.40 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા જાહેર રસ્તાઓ પર ટ્રાફિકને અડચણરૂપ થતા લારી-ગલ્લાવાળાઓ સામે દંડ વસૂલવાની ખાસ ઝુંબેશ શરૂ કરાઈ છે. આ કાર્યવાહી વહીવટી ચાર્જ પેટે કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના એસ્ટેટ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, મનપા વિસ્તારમાં લોકોને અડચણરૂપ થાય અથવા ટ્રાફિક સમસ્યા સર્જાય તે રીતે જાહેર રસ્તાઓ પર લારી-ગલ્લા ઊભા રાખવામાં આવશે તો કાયદાકીય જોગવાઈ મુજબ કાર્યવાહી કરાશે. તેમણે લારી-ગલ્લાવાળાઓને જાહેર રસ્તાઓ પર દબાણ ન કરવા પણ અપીલ કરી હતી.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ આણંદમાં નવા બસ રૂટ શરૂ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓની રજૂઆતને પગલે આણંદ-ડાકોર અને આણંદ-બોરસદ વચ્ચે નવી લોકલ બસ સેવા શરૂ કરાઈ છે. આ રૂટનું ઉદ્ઘાટન આણંદના ધારાસભ્ય અને મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપીને કરવામાં આવ્યું હતું. ગતરોજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આણંદ બસ સ્ટેશનની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે બસમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. વિદ્યાર્થીઓએ તેમને બોરસદ અને ડાકોર માટે વધારાની બસ ટ્રીપ શરૂ કરવાની રજૂઆત કરી હતી, જેથી તેમને અવરજવરમાં સરળતા રહે. વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળીને નાયબ મુખ્યમંત્રીએ તાત્કાલિક આણંદ બસ સ્ટેશન પરથી જ ઉચ્ચ અધિકારીઓ સાથે ફોન પર વાત કરી હતી. તેમણે બોરસદ અને ડાકોર માટે બસ સેવાઓ તાત્કાલિક શરૂ કરવા સૂચના આપી હતી. આ સૂચનાના અનુસંધાનમાં, આજે આણંદ તથા બોરસદ એસ.ટી. ડેપો દ્વારા નવીન આણંદ-ડાકોર અને આણંદ-બોરસદ લોકલ બસ સેવા શરૂ કરવામાં આવી છે. આણંદના ધારાસભ્ય અને અન્ય મહાનુભાવોએ બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે વિભાગીય નિયામક સી. ડી. મહાજન, ડી. ટી. ઓ. નાયી, આણંદ ડેપો મેનેજર કે. એમ. શ્રીમાળી, આણંદ એસ.ટી. ડેપોનો સ્ટાફ, નડિયાદ વિભાગીય કચેરીનો સ્ટાફ સહિત એસ.ટી. વિભાગના કર્મચારીઓ, મુસાફરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
રાજકોટ–અમદાવાદ નેશનલ હાઇવે પર માલિયાસણ ગામ નજીક શહેરની સીમા પાસે નિર્માણ પામી રહેલું ટોલ પ્લાઝા દૈનિક 50 હજાર જેટલા વાહન ચાલકો માટે આર્થિક બોજ બનવાની સાથે પારાવાર ટ્રાફિક સમસ્યાનું નિર્માણ થશે તેવી ભીતિ સાથે સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્ટેટ હાઇવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. શહેરના બસ સ્ટેશનથી 11 કિમી દૂર જ એરપોર્ટ પહેલાં જ ટોલનાકું મૂકવાની યોજનાને લઈ સ્થાનિકો, ખેડૂતો, વેપારીઓ અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા 4 વર્ષથી વિરોધ બાદ પણ આ ટોલનાકાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ચાલુ છે અને માર્ચ-2026 પહેલા આ ટોલનાકું કાર્યરત થતા હવાઈ મુસાફરો, ટ્રાન્સપોર્ટરો અને ખેડૂતો પર મોટો કરબોજ આવે તેમ હોવાથી આ ટોલનાકું એરપોર્ટ પછી લઈ જવાની માગણી કરવામાં આવી છે. જો સરકાર દ્વારા યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે તો ઉગ્ર જનઆંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. શહેરની તદ્દન નજીક ટોલ પ્લાઝા બનાવાતા વિવાદસૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના રાજકોટ વિભાગના પ્રોજેક્ટ ડાયરેક્ટરને રજૂઆતમાં જણાવ્યું હતું કે, રાજકોટ–અમદાવાદ નેશનલ હાઇવે પર માલિયાસણ ગામ નજીક શહેરની તદ્દન નજીક ટોલ પ્લાઝા ઊભો કરવામાં આવી રહ્યો છે. જેનું સ્થળ અને આયોજન શહેરી હિતોને ધ્યાનમાં લીધા વગર નક્કી કરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટપણે દેખાય છે. ‘ટોલ પ્લાઝા બનવાથી 5 ગંભીર સમસ્યાઓ થશે’રોહિત રાજપૂતે જણાવ્યું કે, આ ટોલ પ્લાઝાના કારણે નીચે 5 ગંભીર સમસ્યાઓ ઊભી થવાની છે. શહેરની સીમાની નજીક ટોલ પ્લાઝા ઉભો કરવાથી દૈનિક પીક અવર્સ દરમિયાન વાહનોની લાંબી કતારો લાગવાની પૂર્ણ શક્યતા છે. રાજકોટ શહેર પહેલેથી જ ટ્રાફિક દબાણનો સામનો કરી રહ્યું છે, તેમાં ટોલ પ્લાઝા ઉમેરાતા ટ્રાફિકજામ નિયમિત સમસ્યા બની જશે. વાહનો અચાનક ધીમા પડવાથી તથા લેન બદલાવના કારણે મોટા અકસ્માતોની સંભાવના પણ વધી જશે, જે જાહેર સલામતી માટે ગંભીર ખતરો છે. સમય વેડફાટ અને ફ્લાઇટ ચૂકી જવાની સમસ્યારાજકોટ એરપોર્ટ તરફ જતા મુખ્ય માર્ગ પર જ આ ટોલ પ્લાઝા આવેલો હોવાથી એરપોર્ટ જતા મુસાફરો માટે આ માર્ગ સૌથી વધુ સંવેદનશીલ બની જશે. ટોલ પ્લાઝા પર સર્જાતો ટ્રાફિક જામ મુસાફરોના કિંમતી સમયનો નાશ કરશે, જેના કારણે ઘણા મુસાફરો સમયસર એરપોર્ટ પહોંચી ન શકે અને ફ્લાઇટ ચૂકી જવાની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ સ્થિતિ રાજકોટ જેવા વિકસતા શહેરની પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચાડશે. લોકો પર વધારાનો આર્થિક બોજટોલ પ્લાઝાના કારણે એરપોર્ટ પર આવતા–જતા તમામ મુસાફરોને સીધો વધારાનો આર્થિક બોજ સહન કરવો પડશે. ટોલ ખર્ચનો ભાર ટેક્સી અને કેબ સંચાલકો દ્વારા ભાડામાં ઉમેરવામાં આવશે, જેના પરિણામે એરપોર્ટ સુધીનું પરિવહન મોંઘું બનશે. સામાન્ય નાગરિકો, વિદ્યાર્થીઓ, દર્દીઓ અને વ્યવસાયિક મુસાફરો માટે આ સ્થિતિ અત્યંત અયોગ્ય છે. ટોલનાકાથી શહેરી નાગરિકો સાથે અન્યાયરાજકોટની રિંગ રોડ–3 આ ટોલ પ્લાઝાની બહાર આવતાં શહેરી નાગરિકોને શહેરની અંદર એક વિસ્તારથી બીજા વિસ્તારમાં જવા માટે પણ ટોલ ચૂકવવાની ફરજ પડશે. નેશનલ હાઇવેના નામે શહેરની આંતરિક અવરજવર પર ટોલ લાદવો શહેરી નાગરિકો સાથે સીધો અન્યાય છે. ઉદ્યોગ, વેરહાઉસ અને ટ્રાન્સપોર્ટ હબ પર અસર માલિયાસણ વિસ્તાર આસપાસ મોટા પ્રમાણમાં વેરહાઉસ, ઉદ્યોગો, ટ્રાન્સપોર્ટ ગોડાઉન અને લોજિસ્ટિક હબ આવેલાં છે. ટોલ પ્લાઝા શરૂ થતાં ટ્રાન્સપોર્ટ ખર્ચમાં નોંધપાત્ર વધારો થશે, જેનો સીધો બોજ માલસામાનના ભાવમાં ઉમેરાશે. પરિણામે આવશ્યક ચીજવસ્તુઓ મોંઘી બનશે અને સામાન્ય જનજીવન પર વ્યાપક અસર પડશે. આ તમામ મુદ્દાઓ અંગે ગ્રામજનો, ટ્રાન્સપોર્ટરો, વેપારીઓ તથા ટુર-ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા અનેક વખત સબંધિત વિભાગને રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં સ્થાનિક વાસ્તવિક પરિસ્થિતિનું સર્વાંગી મૂલ્યાંકન કર્યા વિના ટોલ પ્લાઝાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાર્ય ચાલુ રાખવામાં આવી રહ્યું છે. જે લોકહિતના સિદ્ધાંતો વિરુદ્ધ છે.
સામાન્ય રીતે પોલીસ વિભાગમાં એવું કહેવાય છે કે ગુનેગાર ગમે તેટલો ચાલાક હોય, કાયદાના હાથ તેના સુધી પહોંચી જ જાય છે. પરંતુ આ હાથોને ગુનેગારના કોલર સુધી પહોંચાડવા માટે જે 'બાજ નજર' અને 'નેટવર્ક' જોઈએ, તેનું જીવંત ઉદાહરણ એટલે વડોદરા ક્રાઈમ બ્રાંચના એએસઆઈ (ASI) જ્ઞાનેશ્વર પાટીલ. 37 વર્ષની દીર્ઘકાલીન સેવામાં 350થી વધુ ઇનામો મેળવનાર આ પોલીસકર્મીની વાર્તા નવી પેઢીના અધિકારીઓ માટે કોઈ પાઠ્યપુસ્તકથી કમ નથી. ઘટના કંઈક એવી હતી કે, કેરળના ત્રિવેન્દ્રમથી સીબીઆઈ (CBI)ની એક ટીમ એક વોન્ટેડ આરોપીની શોધમાં વડોદરા આવી પહોંચી. સીબીઆઈએ ક્રાઈમ બ્રાંચ પાસે મદદ માંગી. જ્ઞાનેશ્વર પાટીલે વિગતો સાંભળી અને પોતાના ખબરીઓના નેટવર્કને એક્ટિવ કર્યું. પરિણામ એ આવ્યું કે જે આરોપીને શોધવા સીબીઆઈ સેંકડો કિલોમીટર દૂરથી આવી હતી, તેને પાટીલે માત્ર બે કલાકમાં ઝડપી પાડ્યો. સીબીઆઈના અધિકારીઓ પણ આ ઝડપ જોઈ સ્તબ્ધ થઈ ગયા અને ખાસ પ્રશસ્તિપત્ર મોકલીને તેમની કામગીરીને બિરદાવી. જ્ઞાનેશ્વર પાટીલે તેમની 37વર્ષની નોકરીમાંથી 26 વર્ષ ક્રાઈમ બ્રાંચમાં વિતાવ્યા છે. તેમની સૌથી મોટી વિશેષતા તેમની યાદશક્તિ છે. વડોદરાની એક-એક ગલી અને મહોલ્લાથી તેઓ વાકેફ છે. કોઈ ગુનેગારનું નામ પડે એટલે તેની આખી 'ક્રાઈમ કુંડળી' પાટીલ સાહેબના મગજમાં ખૂલી જાય. કયા આરોપીએ કયા વર્ષમાં કયો ગુનો કર્યો હતો અને તેનું ચોક્કસ સરનામું શું છે, તે તેમને આંગળીના વેઢે યાદ હોય છે. મહત્વના કેસોમાં નિર્ણાયક ભૂમિકા બેસ્ટ બેકરી પ્રકરણ: મુંબઈ કોર્ટમાં પોલીસનો પક્ષ મજબૂતીથી રજૂ કરવામાં મહત્વની ભૂમિકા. NRI મહિલા હત્યા કેસ (2011): ગોત્રી વિસ્તારના આ ચકચારી કેસમાં પોતાની સૂઝબૂઝથી આરોપી સુધી પહોંચ્યા. રેકોર્ડબ્રેક રિકવરી: એક જ વર્ષમાં ૫૨ વાહન ચોરીના ગુના ઉકેલી તમામ વાહનો રિકવર કરવાની સિદ્ધિ. કાબેલ રાઈટર: તેઓ માત્ર મેદાન પર જ નહીં, પણ કાગળ પર પણ એટલા જ મજબૂત છે. તેમણે તૈયાર કરેલી ચાર્જશીટ અને દસ્તાવેજો એટલા સચોટ હોય છે કે આરોપીને સજા થવાની પૂરેપૂરી શક્યતા રહે છે. એક સમયે તેઓ ચાર-ચાર પોલીસ ઇન્સ્પેક્ટરોના રાઈટર તરીકે ફરજ બજાવતા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આજના હાઈટેક યુગમાં સફળ પોલીસમેન કેવી રીતે બની શકાય? ત્યારે તેમણે બહુ સાદો પણ સચોટ જવાબ આપ્યો કે, પ્રમાણિકપણે કાર્ય કરો, ફરજ વિસ્તાર ઉપર પ્રભુત્વ રાખો, હ્યુમન ઇન્ટેલિન્જનું નેટવર્ક વધારો. તમામ સાથે સારો વ્યવહાર રાખો, કોઇ ઘટનાની તપાસ વિશે તમામ પાસાઓ વિચારો. આટલું કરીએ તો પણ પોલીસ તરીકે સારી રીતે કામગીરી કરી શકાય છે 37 વર્ષમાં 350થી વધુ સન્માન પત્રો મેળવવા એ નાની વાત નથી. ગાણિતિક દ્રષ્ટિએ જોઈએ તો તેમણે દર વર્ષે સરેરાશ ૯ જેટલા ઇનામો જીત્યા છે. આજે જ્યારે તેઓ નિવૃત્તિ તરફ છે, ત્યારે તેમનું વ્યક્તિત્વ શિસ્ત, સમર્પણ અને કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 19 પોલીસ ઈન્સપેક્ટર અને 41 પોલીસ સબ ઈન્સપેક્ટરની કરાયેલી બદલી પોલીસ વિભાગમાં ચર્ચાનો વિષય બની છે. મોટાભાગના અધિકારીઓ એક જ સ્થળ પર લાંબા સમયથી ફરજ બજાવી રહ્યા હોય બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ગ્રામ્ય પોલીસ સ્ટેશનો અને સર્કલ ઓફિસોમાં હવે નવા અધિકારીઓ ચાર્જ સંભાળશે. જે પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે તેઓના નામની યાદી
ગોધરા શહેરમાં મેસરી નદી કાંઠે ચાલતા આંકડાના જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ દરોડામાં 13 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી અને ₹2.63 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ કેસમાં 11 ફરાર આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. ગોધરા શહેર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા આંકડાના જુગારધામ અંગે SMCને બાતમી મળી હતી. આ બાતમીના આધારે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે 6 જાન્યુઆરી 2026ના રોજ મેસરી નદીમાં નવરચના સ્કૂલ પાછળ આવેલા ખુલ્લા વિસ્તારમાં છાપો માર્યો હતો. SMC પોલીસ દ્વારા દરોડા દરમિયાન જુગાર રમતા અને રમાડતા શખ્સોમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી ₹26,200 રોકડ રકમ, ₹37,500ની કિંમતના 12 મોબાઇલ ફોન, ₹2,00,000ની કિંમતના 10 વાહનો, 440 પ્લાસ્ટિક ટોકન અને એક રેગિંગ બેગ સહિત કુલ ₹2,63,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કાર્યવાહીમાં કુલ 13 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમને ગોધરા શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં ઇરફાનમિયા ઇશાકમિયા મલેક, અબરાર મહેબુબમિયા મલેક, જીતેન રતિલાલ પ્રજાપતિ, રાંગીત સલામભાઈ રાઠોડ, ફિરોઝખાન રસુલખાન પઠાણ, બિલાલ અબ્દુલ ગફારભાઈ શેખ સહિત ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા શખ્સોનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ જુગારધામ લાંબા સમયથી મેસરી નદીના કાંઠે ચાલતું હતું. આ કેસમાં મુખ્ય આરોપી રાશિદ ઉર્ફે બંડલ મહેબુબ મલેક સહિત કુલ 11 આરોપીઓ ફરાર છે. ફરાર આરોપીઓમાં જુદા જુદા વાહનના માલિકો તેમજ જપ્ત કરાયેલા મોબાઇલ ફોનના માલિકોનો પણ સમાવેશ થાય છે. હાલ પોલીસ દ્વારા તમામ ફરાર આરોપીઓની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના PSI કે. એચ. ઝાંકડના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.અધિકારીઓએ જણાવ્યું છે કે જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ લાવવા માટે SMC પોલીસ સતત નજર રાખી રહી છે. સમગ્ર મામલે ગોધરા શહેર ‘એ’ ડિવિઝન પોલીસ મથકે જુગારધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે શહેર અને જિલ્લામાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આવતીકાલથી ‘ઓલ ગુજરાત ઇન્ટર-કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ ટુર્નામેન્ટમાં ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓની કમિશનર અને મેયર ઇલેવન ની ટીમો વચ્ચે રસાકસીભર્યા મુકાબલા રમાઈ રહ્યા છે, આજે ટુર્નામેન્ટના બીજા દિવસે કુલ ચાર મહત્વની મેચોનું આયોજન કરવામાં આવ્યું હતું, આજની યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે રમાયેલ રોમાંચક મેચમાં સુરત કમિશનર-11 એ અમદાવાદ કમિશનર-11 સામે શાનદાર રમતનું પ્રદર્શન કરી વિજય મેળવ્યો હતો,યુનિવર્સિટી ગ્રાઉન્ડ પર મુકાબલો બીજો મુકાબલો અત્યારે જામનગર કમિશનર 11 અને બરોડા કમિશનર 11 વચ્ચે યુનિવર્સિટી ગ્રાઉન્ડ પર રમત ચાલુ છે, ભરૂચા ક્લબ ખાતે ભારે ટક્કરની મેચ છે એક બાજુ યજમાન ભાવનગર કમિશનર- 11 અને ગાંધીનગર કમિશનર- 11 વચ્ચેની મહત્વની મેચ ભરૂચા ક્લબના મેદાન પર રમાઈ રહી છે, અને આજે રાત્રે ડે-નાઈટ મેચમાં મેયર્સ-11 ગાંધીનગર અને મેયર્સ-11 જૂનાગઢ સામસામે ટકરાશે. આ ટુર્નામેન્ટ દ્વારા વિવિધ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે ખેલદિલીની ભાવના વધે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે, આ અંગે આસિસ્ટન્ટ કમિશનર ડો.મહેશ હીરપરાએ જણાવ્યું હતું કે, 6 તારીખથી 'ઓલ ગુજરાત ઇન્ટર-કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ'નું આયોજન કરવામાં આવેલ છે જેમાં કમિશનર ઇલેવન બધા કોર્પોરેશનની અને મેયર ઇલેવન રમી રહી છે આજના દિવસે 7 તારીખે ચાર મેચ હતી, જેમાં કમિશનર ઇલેવન સુરત અને અમદાવાદ વચ્ચે યુનિવર્સિટી ગ્રાઉન્ડ ઉપર મેચ રમાઈ ગઈ હતી, એમાં સુરત વિજેતા થયેલ છે. જામનગર કમિશનર ઇલેવન અને બરોડા કમિશનર ઇલેવનની યુનિવર્સિટી ગ્રાઉન્ડ ઉપર મેચ ચાલુ છે, જ્યારે ભાવનગર કમિશનર ઇલેવન અને ગાંધીનગર કમિશનર ઇલેવનની મેચ ભરૂચા ક્લબ ઉપર ચાલુ છે અને ડે-નાઈટમાં મેયર્સ ઇલેવન ગાંધીનગર અને મેયર્સ ઇલેવન જૂનાગઢની મેચનું પણ આજે આયોજન કરવામાં આવેલ છે.
જૂનાગઢના ચોબારી રેલવે ફાટક પાસે આજે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. હાઈસ્પીડ વંદે ભારત ટ્રેન પસાર થવાની હતી ત્યારે જ એક બેફામ પીકઅપ વાહન ચાલકે બંધ ફાટકને ટક્કર મારી તોડી નાખ્યું હતું. જોકે, ફાટક પર ફરજ પર તૈનાત રેલવે કર્મચારીએ જરા પણ ગભરાયા વગર અત્યંત સમયસૂચકતા વાપરીને વૈકલ્પિક વ્યવસ્થા દ્વારા ટ્રેનને સુરક્ષિત રીતે પસાર કરાવી હતી. પીકઅપ ચાલકની બેદરકારીથી ફાટક ખુલ્યું મળતી વિગતો મુજબ, વંદે ભારત ટ્રેન આવવાનો સમય થયો હોવાથી રેલવે કર્મચારી દ્વારા ચોબારી ફાટક બંધ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક પીકઅપ વાહન ચાલકે બંધ ફાટકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કરને કારણે ફાટકનું બેરિયર નુકસાન પામીને ખુલી ગયું હતું. ટ્રેન ગમે તે સમયે ધસમસતી આવી શકે તેમ હોવાથી રસ્તો ખુલ્લો થઈ જવો એ કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપવા સમાન હતું. રેલવે કર્મીની સમયસૂચકતા: ‘સ્લાઈડિંગ બૂમ’ વડે અકસ્માત ટાળ્યો ફાટક તૂટી જવાની કટોકટીની પળે રેલવે કર્મચારીએ તરત જ સ્લાઈડિંગ બૂમ (ફાટકની બાજુમાં રાખેલા મોટા પાઈપ) નો ઉપયોગ કરી રસ્તો બ્લોક કરી દીધો હતો. જેના કારણે રસ્તા પરના વાહનો થંભી ગયા હતા અને વંદે ભારત ટ્રેન કોઈ પણ અવરોધ વગર સુરક્ષિત રીતે પસાર થઈ શકી હતી. રેલવેમાં ફાટક બંધ કરવાની મુખ્ય 3 સિસ્ટમ હોય છે. • લિસ્ટિંગ બેરિયર: જે મુખ્યત્વે ઉપયોગમાં લેવાતું આડું ફાટક છે. • સ્લાઈડિંગ બૂમ: બંને બાજુ રાખવામાં આવેલા મોટા પાઈપો, જે આડા ખેંચીને ટ્રાફિક રોકી શકાય છે. • સેફ્ટી ચેન: સાંકળ અથવા દોરડા બાંધીને વાહનોને રોકવાની પદ્ધતિ. વાહન ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશેઆ ઘટના અંગે જૂનાગઢના સ્ટેશન મેનેજર પી.સી. રાઠવાએ જણાવ્યું હતું કે, વંદે ભારત ટ્રેનના સમયે પીકઅપ ચાલકે ટક્કર મારતા ફાટક ખુલી ગયું હતું, પરંતુ સ્ટાફની ત્વરિત કામગીરીથી સ્લાઈડિંગ બૂમ લગાવી ટ્રેન પસાર કરાઈ હતી. જે વાહન ચાલકે આ નુકસાન કર્યું છે તેની ઓળખ કરી તેના વિરુદ્ધ રેલવે એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.હાલમાં રેલવે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ફાટકની મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે જેથી વાહનવ્યવહારને અસર ન પડે..
જૂનાગઢ પોલીસને એક મોટી સફળતા મળી છે. છેલ્લા ઘણા સમયથી પોલીસને થાપ આપી ફરાર રહેલા અને ગુજસીટોક (GCTOC) જેવા ગંભીર કાયદા હેઠળ વોન્ટેડ લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયાને જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના અજમેરથી ઝડપી પાડ્યો છે. આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે રાજ્ય બહાર આશરો લઈ રહ્યો હતો, પરંતુ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે તેને દબોચી લીધો છે. અજમેરના આદર્શ નગરમાંથી ફિલ્મી ઢબે ધરપકડ જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે રાજસ્થાનના અજમેર શહેરમાં ધામા નાખ્યા હતા. અજમેરના આદર્શ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છુપાઈને રહેતા ધીરેન કારીયાને પોલીસે ચોકસાઈપૂર્વક ગોઠવેલી જાળમાં ઝડપી લીધો હતો. આ આરોપી છેલ્લા લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતો અને તેને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો કામે લગાડી હતી. જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એપ્રિલ 2025માં ધીરેન કારીયા અને તેની સંગઠિત ગુનાહિત ટોળકી વિરુદ્ધ ગુજસીટોક (GCTOC) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ધીરેન કાર્ય વિસાવદર પોલીસ સ્ટેશનમાં પણ 68 લાખનો દારૂ જે પકડાયો હતો તે કેસમાં ફરાર હતો. ધીરેન કારિયાની ટોળકી માત્ર પ્રોહિબિશન જ નહીં, પરંતુ અન્ય અનેક ગંભીર ગુનાઓમાં પણ સંડોવાયેલી હતી.ધીરેન અને તેની ટોળકી મારામારી, આર્થિક ગુનાઓ, એટ્રોસિટી અને ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવવા જેવા ગુના આચરતી હતી. કોર્ટ દ્વારા ‘ફરારી’ જાહેર કરાયો હતોધીરેન કારીયા એટલો શાતિર હતો કે તે પોલીસ અને કોર્ટ બંનેની કાર્યવાહીથી બચતો રહ્યો હતો. આ મામલે રાજકોટની સ્પેશિયલ ગુજસીટોક કોર્ટ દ્વારા તેની ધરપકડ માટે BNSS કલમ-72 હેઠળ વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું. તેમ છતાં તે હાથ ન આવતા, કોર્ટે આખરે BNSS કલમ-84 મુજબ તેને 'ફરારી જાહેર' કરતું જાહેરનામું પણ બહાર પાડ્યું હતું. ટોળકીના અન્ય સભ્યો જેલ હવાલે ગુજશી ટોકના આરોપમાં ગુનાહિત ટોળકીના અન્ય સભ્યોની જૂનાગઢ પોલીસે અગાઉ જ ધરપકડ કરી લીધી હતી અને તેમની વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ પણ રજૂ કરી દેવામાં આવી હતી. માત્ર મુખ્ય સૂત્રધાર ધીરેન કારીયા જ નાસતો-ફરતો હતો, જે હવે પોલીસના સકંજામાં છે.
ગોધરા શહેરમાં બસ સ્ટેન્ડ ખસેડવામાં આવતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે અખિલ ભારત હિન્દુ મહાસભાએ વિભાગીય પરિવહન અધિક્ષકને પત્ર લખી તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ સીટી બસ શરૂ કરવાની માંગ કરી છે. શહેરમાં ચાલી રહેલા રેલવે ઓવરબ્રિજના કામને કારણે ગોધરાનું મુખ્ય બસ સ્ટેન્ડ હંગામી ધોરણે ભૂરાવાવ ખાતે ખસેડવામાં આવ્યું છે. આ સ્થળાંતરને કારણે પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. ખાસ કરીને આઈ.ટી.આઈ. (ITI) અને સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વધુ અસર થઈ છે. બસ સ્ટેન્ડ દૂર થવાને કારણે તેમને કોલેજ સુધી પહોંચવા માટે ખાનગી વાહનો કે રિક્ષાનો સહારો લેવો પડે છે. અખિલ ભારત હિન્દુ મહાસભાના ગુજરાત પ્રદેશ પ્રભારી આશિષ પટેલે રજૂઆતમાં જણાવ્યું હતું કે, રિક્ષાચાલકો આ સ્થિતિનો લાભ ઉઠાવી વિદ્યાર્થીઓ પાસેથી મનફાવે તેમ ભાડું વસૂલી રહ્યા છે. ગામડાના સામાન્ય પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે રોજબરોજ આટલું ઊંચું ભાડું ચૂકવવું આર્થિક રીતે મુશ્કેલ બની ગયું છે. વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિ અને તેમના અભ્યાસ પર થતી અસરને ધ્યાનમાં રાખીને, સંગઠને માંગ કરી છે કે કોલેજ શરૂ થવાના અને છૂટવાના સમયે વિદ્યાર્થીઓ માટે ખાસ સીટી બસની વ્યવસ્થા કરવામાં આવે.
પાટણ જિલ્લા બિલ્ડર એસોસિએશને શહેરની બહેરા-મુંગા શાળા ખાતે અભ્યાસ કરતા બાળકો માટે કચરિયા વિતરણ કાર્યક્રમ યોજ્યો હતો. શિયાળાની ઋતુમાં બાળકોને પૌષ્ટિક આહાર મળે અને સામાજિક જવાબદારીના ભાગરૂપે સંસ્થાના બાળકો સાથે જોડાણ થાય તે હેતુથી આ આયોજન કરાયું હતું. આ પ્રસંગે પ્રમુખ નીલમભાઈ પટેલે દાતા તરીકે બાળકોને કચરિયું પૂરું પાડ્યું હતું. એસોસિએશનના સભ્યોએ શાળાના બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ ચીજવસ્તુઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે બાળકોના કૌશલ્યને બિરદાવ્યું હતું અને ભવિષ્યમાં તેમના દ્વારા ઉત્પાદિત વસ્તુઓ ખરીદવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં બિલ્ડર એસોસિએશનના પ્રમુખ નીલમભાઈ પટેલ, મંત્રી ધીલનભાઈ, વકીલ ચિંતનભાઈ પટેલ, ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલ, આશિષ પટેલ, યતીન ગાંધી અને કોર્પોરેટર મનોજ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શિયાળા દરમિયાન બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કરાયેલા આ વિતરણ કાર્યક્રમથી બાળકોમાં આનંદ છવાઈ ગયો હતો. બિલ્ડર એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે આવા લોક ઉપયોગી કાર્યો કરવાથી સમાજમાં જાગૃતિ આવે છે અને સંસ્થાના સેવાકીય હેતુઓ સિદ્ધ થાય છે.
શહેરના લો ગાર્ડન વિસ્તારમાં આવેલી GLS યુનિવર્સિટી એક નવા વિવાદમાં ફસાઈ છે. યુનિવર્સિટી કેમ્પસની કેન્ટીનમાં ફક્ત વેજિટેરિયન ફૂડ જ આપવામાં આવે છે તેવું બોર્ડ લગાવવામાં આવ્યું હોવા છતાં અંદરખાને ઈંડા સહિતની નોનવેજ વસ્તુઓ વેચાતી હોવાનો આક્ષેપ કરાયો છે. વિદ્યાર્થીઓની ફરિયાદ બાદ NSUIના કાર્યકર્તાઓએ કેન્ટીનમાં ચેકિંગ કર્યું હતું. જેમાં વેજિટેરિયન ફૂડ જ નહીં પરંતુ નોનવેજની વસ્તુઓનું પણ વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વેજિટેરિયન ફૂડ સાથે નોનવેજ રાખીને લોકોનો ધર્મ ભ્રષ્ટ કરાતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ NSUIના કાર્યકર્તાઓએ હોબાળો કરતા તેમને બહાર કાઢી ગેટ પર તાળું મારી દેતા અન્ય વિદ્યાર્થીઓને કલાકો સુધી અંદર રહેવું પડ્યું હતું. GLS યુનિ.ની કેન્ટીનમાં NSUIનું ચેકિંગGLS યુનિવર્સિટીની કેન્ટીનમાં ફક્ત વેજિટેરિયન ફૂડ મળતું હોવાનું બોર્ડ લગાવવામાં આવ્યું છે. અનેક વિદ્યાર્થીઓએ આ બાબતે ફરિયાદ કરી હતી કે, બોર્ડ પર વેજ દર્શાવાય છે, પરંતુ અંદર કેન્ટીનમાં ઈંડાની વાનગીઓ વેચવામાં આવી રહી છે. તેમ છતાં યુનિવર્સિટીના સત્તાધીશોએ કોઈ ધ્યાન આપ્યું નહીં. જેથી વિદ્યાર્થીઓની આ ફરિયાદ બાદ NSUIના કાર્યકરો યુનિવર્સિટી કેમ્પસ પહોંચ્યા હતા અને કેન્ટીનમાં તપાસ હાથ ધરી હતી. NSUI કાર્યકર્તાનો હાજર સ્ટાફને ઈંડા ખવડાવવાનો પ્રયાસચેકિંગ દરમિયાન ઈંડા સામે આવતા હાજર સ્ટાફને જ્યારે NSUIના કાર્યકર્તાઓએ પૂછ્યું તો તેને ઈંડા વેજ હોવાનું કહેતા કાર્યકર્તાઓ ભારે રોષે ભરાયા હતા. જે બાદ એક NSUIના કાર્યકર્તાએ ઈંડાને વેજ કહેનાર વ્યક્તિને ઈંડા ખવડાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેમજ મોટી સંખ્યામાં NSUIના કાર્યકર્તાઓએ હોબાળો કર્યો હતો. વિદ્યાર્થીઓનો ધર્મ ભ્રષ્ટ થતો હોવાનો NSUIનો આક્ષેપNSUI કાર્યકરોએ કરેલી તપાસ દરમિયાન કેન્ટીનમાંથી ઈંડાની વાનગીઓ મળી આવી હતી. વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવા માટે બહાર ફક્ત વેજ હોવાનું બોર્ડ મારવામાં આવ્યું હતું. જ્યારે અંદર નોનવેજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હતું. વેજનું બોર્ડ લગાવી નોનવેજ વસ્તુઓનું વેચાણ થતા અન્ય વિદ્યાર્થીઓનો ધર્મ ભ્રષ્ટ થતો હોવાનો NSUIના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો હતો. યુનિવર્સિટી સત્તાધીશોએ તાત્કાલિક કેન્ટીન બંધ કરીકારણ કે, ઘણા વિદ્યાર્થીઓ ધાર્મિક કારણોસર અથવા વ્યક્તિગત પસંદગીના કારણે નોનવેજ ખોરાક લેતા નથી. આવી સ્થિતિમાં કેન્ટીનમાં વેજ હોવાનો વિશ્વાસ રાખીને ફૂડ લેતા હોય અને પછી અંદર નોનવેજ વસ્તુઓ વેચાતી હોય તે જરાય પણ યોગ્ય ન હોવાનો NSUIના કાર્યકર્તાઓએ દાવો કર્યો હતો. NSUIના કાર્યકર્તાઓએ હોબાળો કરતા યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા તાત્કાલિક કેન્ટીન બંધ કરવામાં આવી હતી. કેન્ટીન સંચાલક સામે કડક કાર્યવાહી કરવાની માગજોકે, NSUIનો દાવો છે કે, ફરિયાદ બાદ માત્ર અડધા કલાક માટે જ કેન્ટીન બંધ રાખવામાં આવી હતી અને ત્યાર બાદ ફરીથી કેન્ટીન શરૂ કરી દેવાઈ હતી. સંચાલનની આ કામગીરી સામે NSUIએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, માત્ર દેખાવ પૂરતી જ કાર્યવાહી કરવામાં આવે છે. તેમજ કેન્ટીનના સંચાલક સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માગ કરવામાં આવી છે. આ સમગ્ર વિવાદ થતા જ NSUIના કાર્યકર્તાઓને બહાર કાઢી ગેટ પણ બંધ કરી દેવાયો હતો. જેના કારણે કેટલાક વિદ્યાર્થીઓને ઘરે જવું હતું પરંતુ ગેટ બંધ કરી દેવાતા તે લોકો અંદર જ ફસાયા હતા. વેજના નામે નોનવેજના વેચાણની ફરિયાદ: વેદાંતસિંગ તોમરગુજરાત NSUI સ્ટેટ વાઇસ પ્રેસિડેન્ટ વેદાંતસિંગ તોમરે જણાવ્યું હતું કે, GLS યુનિવર્સિટીમાં છેલ્લા ઘણાં સમયથી વિદ્યાર્થીઓની ફરિયાદ હતી કે વેજના નામે નોનવેજનું વેચાણ કરવામાં આવે છે. જે વાસણમાં વેજિટેરિયન ખોરાક બનાવવામાં આવે છે તે જ વાસણમાં નોનવેજ પણ બનાવવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. યુનિવર્સિટી વિદ્યાર્થીઓના ધર્મ ભ્રષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અડધો કલાક કેન્ટીન બંધ રાખી ફરી શરૂ કરીઆખી કેન્ટીનમાં વેજનું સાઈન રાખીને નોનવેજ આપવામાં આવે છે. જેથી અમારી માગ છે કે આ પ્રકારે જરાય પણ ચલાવી ન લેવાય જેથી કેન્ટીનને બંધ કરી દેવામાં આવે. અમે વિદ્યાર્થીઓના ધર્મને ભ્રષ્ટ નહીં થવા દઈએ. અમે ફરિયાદ કરી તો પણ માત્ર અડધો કલાક કેન્ટીન બંધ રાખી ફરી શરૂ કરી દેવામાં આવી હતી.
નવી દિલ્હી ખાતે યોજાયેલી 68મી રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપ (શોટગન ઇવેન્ટ્સ - 2025) માં સાવલી તાલુકા રાઇફલ એસોસિએશન (STRA) ની 19 વર્ષીય શૂટર યશાયા હાફિઝ કોન્ટ્રાક્ટરે પોતાની શાનદાર રમતનું પ્રદર્શન કરી ગુજરાતનું નામ રોશન કર્યું છે. મૂળ દાહોદની રહેવાસી યશાયાએ આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં વિવિધ શ્રેણીઓમાં કુલ ત્રણ મેડલ મેળવીને પોતાની પ્રતિભા સાબિત કરી છે. સુવર્ણ અને કાંસ્ય પદકની સિદ્ધિ યશાયાએ શાનદાર પ્રદર્શન કરતા 'ડબલ ટ્રેપ યુથ' અને 'જુનિયર મહિલા' શ્રેણીઓમાં ગોલ્ડ મેડલ (સુવર્ણ પદક) હાંસલ કર્યા છે. આ ઉપરાંત, આ જ સ્કોર સાથે તેણીએ 'સિનિયર મહિલા' ઇવેન્ટમાં પણ મજબૂત લડત આપી બ્રોન્ઝ મેડલ (કાંસ્ય પદક) પોતાના નામે કર્યો છે. નોંધનીય છે કે, રાષ્ટ્રીય કક્ષાની ડબલ ટ્રેપ સ્પર્ધામાં વ્યક્તિગત મેડલ જીતવાનું આ તેણીનું સતત પાંચમું વર્ષ છે, જે રમત પ્રત્યેની તેની એકધારી નિષ્ઠા દર્શાવે છે. અભ્યાસ અને રમતનું સંતુલન હાલમાં યશાયા પુણેની MIT-વર્લ્ડ પીસ યુનિવર્સિટીમાં બેચલર ઓફ લિબરલ આર્ટ્સનો અભ્યાસ કરી રહી છે. અભ્યાસની સાથે તે પુણેમાં બાલેવાડી શોટગન શૂટિંગ રેન્જ ખાતે તેના કોચ સિદ્ધાર્થ પવારના માર્ગદર્શન હેઠળ કઠિન તાલીમ લે છે. સમયનું યોગ્ય સંચાલન અને કોચના માર્ગદર્શનને કારણે તેના સ્કોરમાં વર્ષોવર્ષ સુધારો જોવા મળી રહ્યો છે. પરિવારનો અતૂટ સહયોગ યશાયાની આ સફળતા પાછળ તેના પરિવારનો મોટો ફાળો છે. તેના માતા-પિતા દેશભરમાં યોજાતી વિવિધ સ્પર્ધાઓમાં તેની સાથે મુસાફરી કરી સતત પ્રોત્સાહન પૂરું પાડે છે. વિશેષ વાત એ છે કે તેના પરિવારના તમામ સભ્યો હથિયારનું લાઇસન્સ ધરાવે છે અને શૂટિંગ પ્રત્યે વિશેષ રુચિ ધરાવે છે. સાવલી તાલુકા રાઇફલ એસોસિએશનના સેક્રેટરી જનરલ ઈશ્વર સિંહે NRAI અને GSRA નો આભાર માનતા જણાવ્યું હતું કે, કુટુંબના સહકારથી કેવી રીતે પ્રતિભા આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ યશાયાએ પૂરું પાડ્યું છે.
રંગીલું રાજકોટ હવે માત્ર ખાણી-પીણી માટે જ નહીં, પણ તેના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રવાસન સ્થળો માટે પણ નવી ઓળખ પ્રસ્થાપિત કરવા જઈ રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ચારેય ખૂણે વિકાસની ગતિ તેજ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા આગામી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ કુલ 66 જેટલી દરખાસ્તો રજૂ કરવામાં આવી છે, જે રાજકોટની કાયાપલટ કરનારી સાબિત થશે. રૂ. 18 કરોડના લાલપરી બ્યુટીફિકેશનથી લઈને વાવડીમાં રૂ. 21 કરોડના ખર્ચે બનનારી અત્યાધુનિક લાઈબ્રેરી સુધીના પ્રોજેક્ટ્સ હવે સાકાર થવાના આરે છે. પ્રકૃતિની સાથે જ આધુનિકતાનું સંગમસ્થાન રાજકોટનું ઐતિહાસિક લાલપરી તળાવ વર્ષોથી ઉપેક્ષિત રહ્યું હતું, પરંતુ મનપા તેને શહેરનું સૌથી મોટું પિકનિક સ્પોટ બનાવવા જઈ રહી છે. રૂ. 18,11,56,641 ના કુલ ખર્ચે આ તળાવનું રિડેવલોપમેન્ટ કરવામાં આવશે. આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા 1.0 કિમી લંબાઈનો લેકફ્રન્ટ છે. તેમજ અહીં નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખી 1650 રનીંગ મીટરનો વોકિંગ ટ્રેક અને 850 રનીંગ મીટરની ફૂટપાથ બનાવવામાં આવશે. પ્રોજેક્ટની ટેકનિકલ વિગતો મુજબ, કુલ 18265 ચો.મી. વિસ્તારને રિડેવલોપ કરવામાં આવશે. જેમાં 10950 ચો.મી.માં વિશાળ ગાર્ડન બનાવવામાં આવશે, જે શહેરના 'ફેફસાં' તરીકે કામ કરશે. તળાવના કિનારે 1 કિમી લાંબી ગેબિયન વોલ (પથ્થરોની સુરક્ષા દીવાલ) બનાવવામાં આવશે, જેથી વરસાદી પાણીથી ધોવાણ ન થાય. ટેન્ડર પ્રક્રિયાના અંતે બી.બી. પટેલ કન્સ્ટ્રકશનને આ કામ સોંપવામાં આવ્યું છે, જેણે અંદાજિત રકમ કરતાં 9.40 % ઓછા ભાવ ભરીને મનપાની તિજોરીને પણ બચત કરાવી આપી છે. મનપાની સૌથી મોટી ડિજિટલ લાઈબ્રેરી રાજકોટ શહેરના વોર્ડ નં. 12 માં આવતા વાવડી અને નજીકના વિસ્તારના વિદ્યાર્થીઓ માટે રૂ 21,00,00,000 ના ખર્ચે એક ભવ્ય લાઈબ્રેરીનું નિર્માણ થવા જઈ રહ્યું છે. 6100.00 ચો.મી.માં ફેલાયેલું આ ભવન માત્ર પુસ્તકાલય નહીં પણ એક નોલેજ સેન્ટર હશે. આ લાઈબ્રેરીમાં આધુનિક યુગને ધ્યાને રાખી હાઈ-સ્પીડ ઇન્ટરનેટ સાથેની ડિજિટલ સેવા મળશે. ત્રીજા માળે 144 પુરુષો અને 144 મહિલાઓ માટે અલગ બેઠક વ્યવસ્થા ધરાવતા હોલ હશે, જેથી શાંતિપૂર્ણ વાતાવરણમાં અભ્યાસ થઈ શકશે. ચિલ્ડ્રન ઝોન પણ બનાવવામાં આવશે. બાળકોમાં વાંચન પ્રત્યે રુચિ જાગે તે માટે ખાસ 'ટોય લાઈબ્રેરી'નું આયોજન છે. બેઝમેન્ટમાં 250 ટુ-વ્હીલર અને 30 ફોર-વ્હીલર માટે પાર્કિંગ હશે. ગ્રાઉન્ડ ફ્લોર પર 18 વ્યાવસાયિક દુકાનો બનાવવામાં આવશે. જામનગર રોડ પર રાજકોટનું ભવ્ય પ્રવેશદ્વાર રાજકોટમાં પ્રવેશતી વખતે પ્રવાસીઓ પર શહેરની પ્રથમ છાપ મજબૂત પડે તે માટે વેસ્ટ ઝોનમાં જામનગર રોડ અને નવા 150 ફૂટ રિંગ રોડના જંક્શન પર એક આકર્ષક એન્ટ્રી ગેટ બનાવવામાં આવશે. રૂ. 3,71,08,707 ના ખર્ચે નિર્માણ પામનાર આ ગેટ 113.00 રનીંગ મીટરનું RCC સ્ટ્રક્ચર ધરાવતો હશે. ઇનોવેટીવ એન્ટરપ્રાઇઝ દ્વારા આ ગેટનું કામ પૂર્ણ કરવામાં આવશે. આ ગેટ રાત્રિના સમયે આકર્ષક લાઈટિંગથી ઝળહળી ઉઠશે, જે પ્રવાસન અને શહેરની સુંદરતામાં વધારો કરશે. મનપા રૂ. 200 કરોડની લોન લેશે, જાણો શુ છે કારણ રાજકોટ શહેરમાં અત્યારે અમૃત 2.0 યોજના હેઠળ રૂપિયા 1274.55 કરોડના વિકાસ કામો ચાલી રહ્યા છે. આ કામોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનો હિસ્સો મોટો છે, પરંતુ મનપાએ પોતાના ફાળા પેટે રૂ. 482.33 કરોડ આપવાના રહે છે. જેમાંથી રૂ. 100 કરોડ મ્યુનિસિપલ બોન્ડથી મેળવાયા છે.વધતા જતા મહેકમ ખર્ચ, નવા ફાયર સ્ટેશનો અને ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનના ખર્ચને પહોંચી વળવા માટે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ રૂ. 200 કરોડની લોન લેવા માટે દરખાસ્ત કરી છે. આ લોન કોઈપણ સિક્યોરિટી વગર રાષ્ટ્રીયકૃત બેંકો કે સરકારી સંસ્થાઓ પાસેથી લેવામાં આવશે, જેથી શહેરના વિકાસ કામોમાં નાણાંના અભાવે અડચણ ન આવે. આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકનો એજન્ડા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં શહેરને નવી ઓળખ આપે તેવી અનેક દરખાસ્તો સામેલ છે. આવતીકાલે સ્ટે. ચેરમેન અને સભ્યો દ્વારા તમામ દરખાસ્તો પર આખરી નિર્ણય લેવામાં આવશે. આ પ્રોજેક્ટ્સ સાકાર થવાથી રાજકોટ ખરા અર્થમાં સ્માર્ટ, લિવેબલ સિટી બનવાની દિશામાં વધુ એક ડગલું આગળ વધશે.
કેન્દ્ર સરકારના આગામી બજેટ પર ઉદ્યોગ જગતથી લઈને સામાન્ય નાગરિકો સુધી તમામની નજર છે. વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામિક હબ તરીકે ઓળખાતા મોરબીના ઉદ્યોગકારોએ પણ આ વખતે નાણામંત્રી પાસે મહત્વની અપેક્ષાઓ વ્યક્ત કરી છે. મોરબી સિરામિક એસોસિએશન દ્વારા મુખ્યત્વે બે માંગણીઓ રજૂ કરવામાં આવી છે: સિરામિક પ્રોડક્ટ્સ પરના GST દરમાં ઘટાડો અને નેચરલ ગેસનો GSTમાં સમાવેશ. 60,000 કરોડનું ટર્નઓવર મોરબીની આસપાસ 800થી વધુ સિરામિક એકમો આવેલા છે, જે લાખો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી પૂરી પાડે છે. આ ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર અંદાજે 60,000 કરોડ રૂપિયા છે. ઉદ્યોગકારોનું માનવું છે કે જો સરકાર તેમની ટેક્સ સંબંધિત માંગણીઓ સ્વીકારે તો આ આંકડો હજુ વધી શકે તેમ છે. મુખ્ય માંગણી 1: GST દર 18%થી ઘટાડી 5% કરવોસિરામિક એસોસિએશનના વિટ્રીફાઈડ ડિવિઝનના જણાવ્યા અનુસાર, હાલમાં સિરામિક પ્રોડક્ટ્સ પર 18% GST વસૂલવામાં આવે છે. અસર: જો આ દર ઘટાડીને 5% કરવામાં આવે, તો અંતિમ ગ્રાહકો (End Users) માટે ટાઇલ્સ અને અન્ય પ્રોડક્ટ્સ સસ્તી થશે. ફાયદો: કિંમતો ઘટવાથી બજારમાં માંગ વધશે, જેનો સીધો લાભ ઉત્પાદકો અને બાંધકામ ક્ષેત્રને મળશે. મુખ્ય માંગણી 2: નેચરલ ગેસનો GSTમાં સમાવેશવોલ ટાઇલ્સ એસોસિએશનના મતે, આ ઉદ્યોગ માટે ઈંધણ એ સૌથી મોટો ખર્ચ છે. હાલમાં નેચરલ ગેસ પર 6% VAT (વેલ્યુ એડેડ ટેક્સ) લાગે છે, કારણ કે તેને હજુ સુધી GST હેઠળ લાવવામાં આવ્યો નથી. ઇનપુટ ટેક્સ ક્રેડિટનો અભાવ: ગેસ GSTમાં ન હોવાથી ઉદ્યોગકારોને તેની સામે કોઈ રિબેટ કે ક્રેડિટ મળતી નથી, જે ઉત્પાદન ખર્ચમાં વધારો કરે છે. વપરાશમાં ઘટાડો: અગાઉ મોરબીમાં દૈનિક 70 લાખ ક્યુબિક મીટર નેચરલ ગેસનો વપરાશ થતો હતો, જે હાલ ઘટીને માત્ર 16 લાખ ક્યુબિક મીટર થઈ ગયો છે. ખર્ચ બચાવવા માટે ઘણા એકમો પ્રોપેન ગેસ તરફ વળ્યા છે. આગામી બજેટ પર મીટજો કેન્દ્ર સરકાર નેચરલ ગેસને GSTમાં સામેલ કરે તો ઉદ્યોગકારોને વર્ષે કરોડો રૂપિયાનું ટેક્સ રિબેટ મળી શકે છે. આ નિર્ણયથી મોરબીનો ઉદ્યોગ ફરી એકવાર નેચરલ ગેસ તરફ વળે તેવી શક્યતા છે. હવે જોવાનું એ રહેશે કે નાણામંત્રી મોરબીની આ રજૂઆતોને બજેટમાં સ્થાન આપીને 'મેક ઇન ઇન્ડિયા'ના આ મહત્વના હબને કેટલી રાહત આપે છે.
પાટણ નગરપાલિકામાં છેલ્લા એક મહિનાથી જન્મ-મરણના દાખલા મેળવવા અરજદારોને ભારે મુશ્કેલી પડી રહી છે. ઈ-ઓળખ વેબસાઈટ બંધ હોવાનું બહાનું આપી પાલિકા દ્વારા અરજદારોને ધરમધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે. આ સમસ્યાના નિરાકરણ માટે નાયબ મુખ્ય રજિસ્ટ્રાર, ગાંધીનગર દ્વારા 31 ડિસેમ્બર, 2025ના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં તમામ ચીફ ઓફિસર અને તાલુકા વિકાસ અધિકારીઓને સુધારો કરવા સૂચના અપાઈ હતી. અન્ય પાલિકાઓમાં આ પરિપત્ર મુજબ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે, પરંતુ પાટણમાં તેનો અમલ થઈ રહ્યો નથી. આજે બનાસકાંઠાથી આવેલા એક અરજદારને પરિપત્ર હોવા છતાં દાખલો ન અપાતા વિવાદ સર્જાયો હતો. અરજદારે ચીફ ઓફિસર અને જિલ્લા રજિસ્ટ્રારને રજૂઆત કરી હતી, પરંતુ કોઈ ઉકેલ આવ્યો નહોતો. આખરે ધારાસભ્યના હસ્તક્ષેપ અને ઓ.એસ.ને રજૂઆત બાદ રજિસ્ટ્રાર દ્વારા દાખલો કાઢી આપવામાં આવ્યો હતો. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે આક્ષેપ કર્યો છે કે, વહીવટી વડા તરીકે ચીફ ઓફિસર પરિપત્રની અમલવારી કરાવવાને બદલે માત્ર ફોટો સેશનમાં વ્યસ્ત રહે છે. બાળકોના એડમિશન, આધાર કાર્ડમાં સુધારા, પાસપોર્ટ અને જાતિના દાખલા જેવા મહત્વના કાર્યો માટે જન્મ-મરણના દાખલા અનિવાર્ય હોય છે. ત્યારે પાલિકા દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને જનતાની હાલાકી દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
• ત્રણ દિવસથી ભાઈનો સંપર્ક ન થતા બહેન ઘરે પહોંચી તો ભાઈની લાશ જોવા મળી રાજકોટ શહેરના ભોમેશ્વર વિસ્તારમાં આવેલ બાબજી એવન્યુ નામની બિલ્ડીંગની અગાસી પરથી ગઈકાલે 40 વર્ષીય યુવકની લાશ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સાથે ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમો દોડી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. યુવકની લોહીથી લથપથ લાશ નજીકથી એક નાની છરી પણ મળી આવતા પોલીસે FSL અને ડોગ સ્ક્વોડની મદદ મેળવી બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તે અંગે તપાસ હાથ ધરી હતી જેનું પોસમોર્ટમ કરાવવામાં આવતા 29 જેટલા ઇજાના નિશાન મળી આવ્યા હતા જો કે એક પણ ઘા ઊંડો ન હોવાથી અને ઘરે કે મોબાઈલ ફોનમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા આ બનાવ હત્યાનો નહિ પરંતુ જાતે જ ઘા મારી આત્મહત્યા કરી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રાજકોટ શહેરના ભોમેશ્વર શેરી નં.8માં આવેલ બાબજી એવન્યુના પાંચમા માળેથી ગઈકાલે સવારે એક લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસની સાથે ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા પણ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતા તેમજ ક્રાઈમ બ્રાન્ચ અને એલસીબીની ટીમોએ પણ દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી શરૂ કરી હતી દરમિયાન પોસમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં મૃતક યુવાનના શરીર પરથી 29 જેટલા ઇજાના નિશાન મળી આવ્યા હતા અને તેમાં એક પણ ઘા કોઈ ઊંડો જોવા મળ્યો ન હતો એટલે કે જાતે જ ઘા માર્યા હોય તે રીતે ઇજાના નિશાન જોવા મળી રહ્યા છે જો કોઈએ હુમલો કર્યો હોય તો એ ઘા ઊંડો પણ લાગી શકે છે જેથી યુવકે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ જણાઈ રહ્યું છે. મૃતકનું નામ અબ્બાસભાઈ યુસુબભાઈ મર્ચન્ટ (ઉ.વ.40) હોવાનું સામે આવ્યું હતું. તેઓ બે ભાઈ એક બહેનમાં મોટા હતાં અને ઢેબર રોડ પર દરજીની દુકાન ચલાવતાં હોવાનું સામે આવ્યું છે. જ્યાંથી લાશ મળી એ જ ફ્લેટમાં ચોથા માળે મૃતક 402 નંબરના ફ્લેટમાં એકલાં રહેતાં હતા. છેલ્લા ત્રણેક દિવસથી તેમનો સંપર્ક ન થતાં તેમના બહેન તપાસ કરવા ઘરે આવ્યાં હતાં તે દરમિયાન બનાવની જાણ થઈ હતી. મૃતકની લાશ પાસેથી પોલીસને એક છરી મળી આવી હતી અને ગળા તેમજ છાતીના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યા હતા. જેથી ડોગ સ્ક્વોડ અને FSLને જાણ કરી બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત યુવકના ઘર પણ પોલીસે તપાસ હાથ ધરી છે અને ત્યાં કોઈ સ્યુસાઇડનોટ લખીને રાખી છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ હાથ ધરી હતી જો કે તેમાં પણ તેમના ઘરેથી કે કોલ ડિટેઈલમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ધ્યાન પર ન આવતા બનાવ આત્મહત્યાનો જ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
જામનગરના ઔદ્યોગિક ક્ષેત્રમાં GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન (દરેડ) દ્વારા ‘ટેક ફેસ્ટ ઈન્ડસ્ટ્રીઝ ફેર-2026’નો શુભારંભ થયો છે. ‘બ્રાસ સિટી’ તરીકે ઓળખાતા જામનગર માટે આ મેગા એક્ઝિબિશન એક મહત્વપૂર્ણ ઘટના છે. આ મેળાનો ઉદ્ઘાટન સમારોહ દીપ પ્રાગટ્ય સાથે શરૂ થયો હતો. નવતન પુરીધામ ખીજડા મંદિર ટ્રસ્ટના મહંત અને આચાર્ય કૃષ્ણમણીજી મહારાજના હસ્તે રીબીન કાપીને મેગા ફેસ્ટને વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજકીય નેતાઓ, ઔદ્યોગિક સંગઠનોના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. રીબીન કટિંગ બાદ મહારાજ અને અન્ય મહાનુભાવોએ પ્રદર્શનમાં ઉભા કરાયેલા વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી અને અદ્યતન મશીનરી તેમજ પ્રોડક્ટ્સ વિશે માહિતી મેળવી હતી. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા આચાર્ય કૃષ્ણમણીજી મહારાજે જણાવ્યું હતું કે, “આપણો દેશ ઉત્પાદનમાં શ્રેષ્ઠ છે, પરંતુ પેકિંગમાં આપણે થોડા નબળા પડીએ છીએ. જો આપણે આપણી પ્રોડક્ટનું પેકિંગ વધુ આકર્ષક બનાવીએ અને વિશ્વસ્તરીય ફિનિશિંગ સાથે માલ મોકલીએ, તો આપણને કોઈ હરાવી ન શકે.” તેમણે GIDC એસોસીએશનના આ ‘ટેક ફેસ્ટ’ના આયોજનને સરાહનીય ગણાવ્યું હતું. મહારાજે જામનગર ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ આગળ વધે અને વિશ્વના નકશા પર તેનું નામ રોશન કરે તેવા આશીર્વાદ પણ આપ્યા હતા. આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ધારાસભ્ય રાઘવજી પટેલ, કાલાવડના ધારાસભ્ય મેઘજી ચાવડા, ભાજપ જિલ્લા પ્રમુખ વિનુ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી અને જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પૂર્વ શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા પણ હાજર રહ્યા હતા. આ તમામ મહાનુભાવોએ એસોસીએશનની કામગીરીની પ્રશંસા કરી હતી અને જામનગરના લઘુ ઉદ્યોગોને સરકાર અને સંગઠન તરફથી મળતા સહયોગની ખાતરી આપી હતી. ઔદ્યોગિક જગતમાંથી પણ દિગ્ગજ નેતૃત્વની હાજરી નોંધપાત્ર રહી હતી. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના મંત્રી બિપેન્દ્રસિંહ જાડેજા, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ રમણીક અકબરી અને જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસીએશનના પ્રમુખ રામજી ગઢીયાએ ખાસ હાજરી આપી હતી. ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસીએશનસ (FIA)ના ખજાનચી લાખા કેશવાલા પણ આ પ્રસંગે જોડાયા હતા. આ તમામ અગ્રણીઓએ એકસૂરે સ્વીકાર્યું હતું કે, આવા મેગા ટેકફેસ્ટ થકી જામનગરના સ્થાનિક ઉદ્યોગોને ગ્લોબલ માર્કેટની સ્પર્ધામાં ટકી રહેવા માટે જરૂરી ટેકનોલોજીકલ અપગ્રેડેશન અને નવી દિશા મળી રહેશે, અને આ ચાર દિવસીય મેળો ઉદ્યોગકારો માટે જ્ઞાન અને વ્યાપારનો સંગમ તીર્થ બની રહેશે.
વડોદરાથી પાવાગઢ ફરવા ગયેલા ચાર શિક્ષકો પૈકીના બે શિક્ષકો નર્મદા કેનાલમાં ડૂબી ગયા બાદ ચોથા દિવસે બીજા શિક્ષકનો મૃતદેહ મળી આવ્યો છે. શિક્ષક શુભમ પાઠકનો મૃતદેહ ખંડીવાળા નર્મદા કેનાલથી 25 કિ.મી. દૂરથી મળ્યો મળ્યો છે. મૃતદેહ કેનાલના ગેટમાં ફસાઈ ગયો હતો. ભારે જેહમત બાદ રેસ્ક્યુ કરીને મૃતદેહને હાલોલ ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢ્યો છે. આ પહેલા શિક્ષક રાહુલ યાદવનો મૃતદેહ ખંડીવાળા નર્મદા કેનાલથી 20 કિ.મી. દૂરથી ગઈકાલે મંગળવારે સવારે મળ્યો હતો. રાહુલ કેનાલ પાસે પગ ધોતો હતો ને અકસ્માતે લપસી ગયોવડોદરામાં રહેતા વિદ્યુત પ્રસાદસિંગ, રાહુલ વિરેન્દ્ર યાદવ, શુભમ મિથિલેશકુમાર પાઠક અને અશિત જન્મેજયભાઈ ઓઝા કાર લઈને રવિવારના રોજ પાવાગઢ ફરવા માટે ગયા હતા. ચારેય મિત્રો જ્યારે પાવાગઢથી વડોદરા પરત ફરી રહ્યા હતા ત્યારે નર્મદા કેનાલ પાસે કાર રોકીને પાળી પર બેઠા હતા. આ સમયે રાહુલ યાદવ પગ ધોવા માટે કેનાલ પાસે ગયા હતા ત્યારે અકસ્માતે પગ લપસતા કેનાલમાં ડૂબવા લાગ્યા હતા. શુભમ બચાવવા ગયો ને તે પણ કેનાલમાં ડૂબ્યોબૂમાબૂમ થતા શુભમ પાઠક તેને બચાવવા દોડ્યા હતા. કમનસીબે શુભમ પણ પાણીમાં ડૂબવા લાગ્યા હતા જ્યારે કેનાલ પર હાજર તેમના બે મિત્રોને તરતા ન આવડતું હોય તેઓ કંઈ કરી શક્યા ન હતા અને પોતાની નજર સામે બંને મિત્રો પાણીમાં ગરક થઈ ગયા હતા. નર્મદા કેનાલમાં બે શિક્ષકો ડૂબતા તેમની સાથે રહેલા બે શિક્ષક મિત્રોએ તુરંત જ ફાયર બ્રિગેડને કોલ કર્યો હતો. રેસ્ક્યુ દરમિયાન પહેલા રાહુલનો મૃતહેદ મળ્યોઆ ઘટનાની જાણ થતા હાલોલ ફાયર ફાઈટર ટીમ ખંડીવાળા નર્મદા કેનાલ ખાતે પહોંચી ગઈ હતી અને બંને શિક્ષકોની શોધખોળ શરૂ કરી હતી. રવિવારે સાંજે અંધારું થઈ જતા રેસ્ક્યુ ઓપરેશન રોકવામાં આવ્યું હતું અને આજે ત્રીજા દિવસે સવારે ફરીથી શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન શિક્ષક રાહુલ યાદવનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે શિક્ષક શુભમ પાઠકના કોઈ સગડ મળ્યા નહોતા. જેથી, તેમની શોધખોળ ચાલુ રાખી હતી. શુભમ સારો સ્વીમર પણ હતોરાહુલ યાદવ અને શુભમ પાઠક મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે. રાહુલ યાદવ વડોદરાની ફોટોન સ્કૂલમાં ફરજ બજાવતા હતા, જ્યારે શુભમ પાઠક આણંદ ખાતે IIT આશ્રમમાં ફરજ બજાવતા હતા. બંનેના પરિવાર પર આફત આવી પડી છે. હાલ હાલોલ ફાયર બ્રિગેડ દ્વારા હાલ એક શિક્ષકને શોધખોળ કરવામાં આવી રહી છે. જ્યારે જરોદ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, શુભમ પાઠક સારો સ્વિમર હતો અને તે ગંગા નદી તરીને પાર કરી નાખતો હતો. સારું તરતા આવડતું હોવા છતાં તે નર્મદા કેનાલમાં ડૂબી ગયો હતો. મૃતદેહ કેનાલના ગેટમાં ફસાઈ ગયો હતોબંને યુવક 100 મીટર સુધી પાણીમાં તણ્યા હતા, તે સમયે બચવા માટે ખૂબ પ્રયાસો કર્યા હતા, જોકે 100 મીટર આગળ જતા બંને પાણીમાં ડૂબી ગયા હતા. જોકે, તેમના મિત્રો ને તરતા ન આવડતો હોવાથી બંને મિત્રોને બચાવી શક્યા નહોતા. શિક્ષક શુભમ પાઠકનો મૃતદેહ ખંડીવાળા નર્મદા કેનાલથી 25 કિ.મી. દૂરથી આજે મળ્યો છે. મૃતદેહ કેનાલના ગેટમાં ફસાઈ ગયો હતો. ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરીને મૃતદેહને હાલોલ ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢ્યો છે. આ પહેલા શિક્ષક રાહુલ યાદવનો મૃતદેહ ખંડીવાળા નર્મદા કેનાલથી 20 કિ .મી. દૂરથી ગઈકાલે મળ્યો હતો. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સમા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા થયા બાદ વિવાદમાં આવી હતી. જે બાદ સ્કૂલને સરકાર હસ્તક લઈ લેવામાં આવી છે. અત્યારે સ્કૂલનો તમામ વહીવટ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી જોઈ રહ્યા છે. વિવાદમાં આવ્યા સેવન્થ ડે સ્કૂલમાં પહેલી વખત સરકાર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 10 અને 12 પછી વિદ્યાર્થીઓને શું કરવું તેને લઈને મુંઝવણમાં હોય છે. જેથી શહેરના વિદ્યાર્થીઓ માટે કેરિયર ગાઈડન્સ માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને એક્સપર્ટ દ્વારા ધોરણ 10 અને 12 પછી શું કરી શકાય તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા કેરિયર ગાઈડન્સ કાર્યક્રમધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે. તેને લઈને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં હોય જ છે પરંતુ સાથે સાથે ધોરણ 10અને 12 પછી શું કરવું તેને લઈને પણ વિદ્યાર્થીઓ વધારે મૂંઝવણમાં હોય છે. ઘણી વખત વિદ્યાર્થીઓને સમજણ ન હોવાથી કોઈ પણ ફિલ્ડ પસંદ કરી લેતા હોય છે. જે બાદ ઘણી વખત ખોટી ફિલ્ડ પસંદ કરી દીધી હોય તેવું વિદ્યાર્થીઓને લાગતું હોય છે. જેથી વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 12 પાસ કર્યા પછી કઈ સ્ટ્રીમમાં આગળ વધવું?અમદાવાદ શહેરમાં વિદ્યાર્થીઓ માટે How to Choose a Career કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ધોરણ 12 પછી કેવી રીતે કેરિયર બનાવી શકાય તેની માહિતી આપવામાં આવી હતી. કેરિયર કાઉન્સિલર મોહિત મંગલ દ્વારા માહિતી આપવામાં આવી હતી. 12 પાસ કર્યા પછી કઈ સ્ટ્રીમમાં આગળ વધવું, કયા કોર્સની વધુ માંગ છે સહિતની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય અમૂલ ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા. જો કે હવે સેવન્થ ડે સ્કૂલ સરકાર હસ્તક લેવામાં આવતા તેમાં ડ્રગ્સ મુક્ત અભિયાન સહિતના કાર્યક્રમ પણ કરવામાં આવશે. 'કેરિયરની પસંદગી કરવા કેવા પ્રકારની બાબતોનું ધ્યાન રાખવું તેનું માર્ગદર્શન આપ્યું'અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરની સેવન્થ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે કેરિયર ગાઈડન્સનો કાર્યક્રમ યોજાયો હતો. શહેર કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને કેરિયરની પસંદગી કરવા માટે કેવા પ્રકારની બાબતોનો ધ્યાન રાખવું જોઈએ તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તેમજ ધારાસભ્ય અમુલ ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા. ધોરણ 10 અને 12 પછી જ્યારે વિદ્યાર્થીઓને કેરિયર પસંદ કરવાનું હોય છે ત્યારે મૂંઝવણમાં હોય છે. જેથી ધોરણ 10 અને 12 પછી શું કરવું તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સુરતની સેશન્સ કોર્ટે કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરી પોલીસ અને પત્નીને હેરાન કરનાર પતિ વિરુદ્ધ લાલ આંખ કરી છે. સુરત મહિલા પોલીસ સ્ટેશનની FIR અને ચાર્જશીટ ખોટી હોવાનું રટણ કરી ખાનગી ફરિયાદ દાખલ કરનાર અલ્પેશ પટેલ નામના વ્યક્તિને કોર્ટે પત્ની અને પોલીસ સ્ટાફને કુલ રૂ. 50,000 વળતર તરીકે ચૂકવવાનો કડક આદેશ કર્યો છે. અલ્પેશ પટેલે પોતાનો બચાવ કરવાને બદલે સામો દાવ ખેલ્યોવકીલ કમલેશ સંઘાડીયા મારફતે મળેલી વિગતો મુજબ, કોર્ટે આ કિસ્સામાં કાયદાકીય પ્રક્રિયાના દુરુપયોગને ગંભીરતાથી લીધો છે. ઘટનાની વિગત એવી છે કે, વર્ષ 2022માં અલ્પેશ પટેલ વિરુદ્ધ તેની પત્ની નીતા પટેલે દહેજ ઉત્પીડન અને મારપીટની કલમો (498-A સહિત) હેઠળ સુરત મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પોલીસે તપાસ કરીને કોર્ટમાં ચાર્જશીટ પણ રજૂ કરી હતી. જોકે, અલ્પેશ પટેલે પોતાનો બચાવ કરવાને બદલે સામો દાવ ખેલ્યો હતો અને મહિલા પોલીસ સ્ટેશનના પી.આઈ., રાઈટર, પી.એસ.ઓ. અને પોતાની પત્ની વિરુદ્ધ જ ખોટી ખાનગી ફરિયાદ દાખલ કરી હતી. 'પતિ માત્ર તપાસની પ્રક્રિયાને લંબાવવા હથકંડા અપનાવી રહ્યો છે'ટ્રાયલ કોર્ટે જ્યારે આ ખાનગી ફરિયાદ નામંજૂર કરી, ત્યારે અલ્પેશ પટેલે સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી હતી. આ કેસની સુનાવણી દરમિયાન સામાવાળા પત્ની નીતા પટેલના એડવોકેટ કમલેશ એચ. સંઘાડીયાએ ધારદાર દલીલો કરી હતી. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે, પતિ માત્ર તપાસની પ્રક્રિયાને લંબાવવા અને પોલીસ પર દબાણ લાવવા માટે આ પ્રકારના હથકંડા અપનાવી રહ્યો છે, જે કાયદાની મર્યાદાની બહાર છે. પોલીસ કમિશનર અને હર્ષ સંઘવી સુધી પાયાવિહોણી અરજીઓ કરી હતીબંને પક્ષોને સાંભળ્યા બાદ સેશન્સ કોર્ટે પતિ અલ્પેશ પટેલની આકરી ટીકા કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, રિવિઝનકર્તા પતિએ તપાસમાં અડચણો ઊભી કરવા માટે પોલીસ કમિશનર અને રાજ્યના ગૃહમંત્રી સુધી પાયાવિહોણી અરજીઓ કરી હતી. તપાસ એજન્સીને સરકારી ફરજ બજાવતા રોકવા અને કાનૂની પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવાનું કૃત્ય ફલિત થતું હોવાનું કોર્ટે પોતાના તારણમાં જણાવ્યું હતું. અંતે, કોર્ટે રિવિઝનકર્તાની અરજી ફગાવી દેતા હુકમ કર્યો હતો કે, અલ્પેશ પટેલે તેની પત્ની, મહિલા પોલીસ સ્ટેશનના પી.આઈ. અને અન્ય સ્ટાફને વળતર પેટે કુલ રૂ. 50,000 ચૂકવવા પડશે. કોર્ટના આ ચુકાદાથી એ સ્પષ્ટ સંદેશ ગયો છે કે જે લોકો અંગત અદાવત રાખવા માટે પોલીસ અને ન્યાયતંત્રનો સમય બગાડે છે અથવા ખોટી રીતે દબાણ લાવવાનો પ્રયાસ કરે છે, તેમને કોર્ટ ક્યારેય સાંખી લેશે નહીં.
પંચમહાલ-ગોધરા SOG પોલીસે પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ નોંધાયેલા ગુનામાં વોન્ટેડ આરોપી જુબેર અબ્દુલમજીદ બાંડીની ગોધરામાંથી ધરપકડ કરી છે. આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. SOG ગોધરાએ ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ જુબેર અબ્દુલમજીદ બાંડી (રહે. ઇદગાહ મહોલ્લા, ગોધરા) ને ઇદગાહ મહોલ્લા, ગોધરા ખાતેથી ઝડપી પાડ્યો હતો. આ ગુનામાં પ્રાણીઓની સાચવણી અંગેના અધિનિયમની કલમોનો સમાવેશ થાય છે.
ભાવનગર પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે વર્ષ 2025 દરમિયાન સુરક્ષા, આધુનિકીકરણ અને આવક વૃદ્ધિના ક્ષેત્રે અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી છે મંડળે વર્ષ દરમિયાન રૂપિયા 1375.94 કરોડની કુલ આવક મેળવી છે, જેમાં નવેમ્બર 2025માં સૌથી વધુ રૂ.29.50 કરોડની માસિક યાત્રી આવકનો સમાવેશ થાય છે, રેલ સુરક્ષાને પ્રાથમિકતા આપતા 17 લેવલ ક્રોસિંગ દૂર કરી ROB/RUB નિર્માણ કરવામાં આવ્યું છે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પાલિતાણા અને સિહોર સહિત 6 સ્ટેશનોનું લોકાર્પણ કરાયું સાથે જ, સુરક્ષા માટે HABD સિસ્ટમ અને ઇલેક્ટ્રોનિક વેઇંગ મશીન કાર્યરત કરાયા છે, વર્ષ 2025માં વેરાવળ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ અને ભાવનગર-અયોધ્યા વચ્ચે નવી LHB ટ્રેન શરૂ કરવામાં આવી છે. રેલવેએ યાત્રી સુવિધાઓ માટે રૂ.170 કરોડનું રોકાણ કર્યું છે, જેમાં નવા ફૂટ ઓવર બ્રિજ, લિફ્ટ અને કોચ ઇન્ડિકેટરનો સમાવેશ થાય છે, RPF દ્વારા ‘ઓપરેશન અમાનત’ હેઠળ રૂ.39.80 લાખનો સામાન પરત કરાયો અને ‘નન્હે ફરિશ્તે’ હેઠળ 35 બાળકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે, ગોંડલ સ્ટેશન પર RPF જવાન દ્વારા CPR આપી યાત્રીનો જીવ બચાવવાની ઘટનાએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે, મંડળ ભવિષ્યમાં પણ સુરક્ષિત અને આધુનિક રેલ સેવાઓ આપવા કટિબદ્ધ છે, આ અંગે ડીઆરએમ જણાવ્યું હતું કે, મુસાફરો માટે મહત્વની જાહેરાતો કરવામાં આવી છે મંડળના વરિષ્ઠ અધિકારીએ પાછળ વર્ષની સિદ્ધિઓ વાગોળતા આગામી વર્ષ માટેના રોડમેપની મુખ્ય સિદ્ધિઓ ગણાવી હતી, જેમાં અનેક સ્ટેશનોનો કાયાકલ્પ કરી ત્યાં લિફ્ટ અને ફૂટ ઓવર બ્રિજ (FOB) પર કવર શેડની સુવિધા, ટ્રેનોમાં CCTV કેમેરા અને ફાયર ડિટેક્શન ડિવાઈસ લગાવવાની કામગીરી શરૂ કરાઈ છે, અયોધ્યા-ભાવનગર, વેરાવળ-સાબરમતી અને પોરબંદર-રાજકોટ જેવી મહત્વની નવી ટ્રેનો દોડાવવામાં આવી છે, 'ફાટક મુક્ત ગુજરાત' અભિયાન હેઠળ રેલવે ફાટકો દૂર કરવાની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે, સુરત અને અન્ય મુખ્ય શહેરો માટે નવી ટ્રેનો શરૂ કરવાની મુસાફરોની માંગ પૂરી કરવામાં આવશે.
અરવલ્લી જિલ્લામાં 'ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ'થી પ્રેરિત 'સન્ડે ઓન સાયકલિંગ' મુહિમે 5 જાન્યુઆરી, 2025ના રોજ શરૂઆત કરી સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કર્યું છે. જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીક (IAS)ના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી આ પહેલ ટૂંક સમયમાં જ જિલ્લાના નાગરિકોમાં ફિટનેસનું પ્રતીક બની છે અને મેદસ્વિતા-મુક્ત ભારતના લક્ષ્ય તરફ મજબૂત પગલું ભર્યું છે. આ મુહિમની શરૂઆતથી જ દર રવિવારે 50થી 60 નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે. મહિલાઓ, વડીલો, યુવાનો તેમજ બાળકો પણ આ સાયકલિંગમાં સક્રિય ભાગ લઈ રહ્યા છે. સાયકલિંગની દૂરી 40 કિલોમીટરથી લઈને 150 કિલોમીટર સુધીની રહે છે, જે શારીરિક તંદુરસ્તી વધારવાની સાથે પર્યાવરણ જાગૃતિને પણ પ્રોત્સાહન આપે છે. સાયકલિંગના અનેક આરોગ્યલાભો છે. તે વજન નિયંત્રણમાં મદદ કરે છે, હૃદયને મજબૂત બનાવે છે, ડાયાબિટીસ જેવા રોગોથી બચાવે છે અને માનસિક તાજગી આપે છે. વધુમાં, તે સ્નાયુઓને મજબૂત બનાવે છે અને એકાગ્રતા વધારે છે. કલેક્ટર પ્રશસ્તિ પારીકના નેતૃત્વમાં આ પહેલ સંપૂર્ણપણે સ્વૈચ્છિક અને સમુદાય આધારિત છે, જેમાં કોઈ આદેશ કે દબાણ વિના નાગરિકો પોતાની મેળે જોડાઈ રહ્યા છે. આ મુહિમ અરવલ્લી જિલ્લાનું ગૌરવ બની છે અને ફિટનેસની ઉજવણી તરીકે જિલ્લાવાસીઓમાં લોકપ્રિયતા મેળવી રહી છે.આ પ્રસંગે જિલ્લા વહીવટીતંત્ર તરફથી તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ પણ આ મુહિમમાં જોડાઈને દર રવિવારે સાયકલિંગ કરી સ્વસ્થ, ફિટ અને પર્યાવરણપ્રિય જીવનશૈલી અપનાવે.
વિજલપોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસકર્મી સામે ભ્રષ્ટાચાર અને તોડબાજીના ગંભીર આક્ષેપો થયા છે. સાયબર ફ્રોડના કેસમાં પકડાયેલા યુવકના પિતા પાસેથી તેને છોડાવવા અને પિતાનું નામ કેસમાં ન ઉમેરવા માટે રૂ. 2.75 લાખની લાંચ લેવામાં આવી હોવાની ફરિયાદ ઉઠી છે. આ મામલે જિલ્લા પોલીસ અધિક્ષક (SP) રાહુલ પટેલે તાત્કાલિક અસરથી સંડોવાયેલા કર્મચારીઓની બદલીના આદેશ કર્યા છે. જોકે, તેમને સસ્પેન્ડ કરવાની માંગ તેજ બની છે. સમગ્ર ઘટના શું છે ?વિજલપોર વિસ્તારમાં આવેલા વનગંગા સોસાયટીમાં કાપડના વ્યાપાર સાથે સંકળાયેલા આનંદા પાટીલે ડીજીપી, રેન્જ આઈજી અને નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત 17 ડિસેમ્બરના રોજ તેમના પુત્ર દિવ્યેશની વિજલપોર પોલીસે સાયબર ક્રાઈમ (કલમ 66-C, 66-D) હેઠળ ધરપકડ કરી હતી. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ હીરામણ પાટીલ અને ખાનગી વ્યક્તિ મેહુલભાઈ પાટીલે દિવ્યેશને ઢોર માર મારી ધમકી આપી હતી કે તેના પિતા પણ આ ફ્રોડમાં સામેલ છે અને તેમની પણ ધરપકડ કરવામાં આવશે. 5 લાખની માંગ, 2.75 લાખમાં પતાવટ ભોગ બનનાર પિતાના જણાવ્યા મુજબ, મોડી રાત્રે તેમને પોલીસ સ્ટેશન બોલાવી ધાક-ધમકી આપવામાં આવી હતી. બદનામી અને જેલના ડરથી ગભરાઈ ગયેલા પિતા પાસે આરોપી પોલીસકર્મીઓએ શરૂઆતમાં 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. અંતે રૂ. 2,75,000માં સોદો નક્કી થયો હતો. પિતાએ પોતાની પત્નીના ખાતામાંથી પૈસા ઉપાડીને મેહુલભાઈની ઓફિસે આ રકમ રોકડી ચૂકવી હતી. પૈસા લીધા છતાં પુત્રના રિમાન્ડ માંગ્યાઆનંદા પાટીલે આક્ષેપ કર્યો છે કે, પૈસા આપ્યા બાદ જ્યારે હું PI એન.આઈ. રાઠોડને મળ્યો અને સમગ્ર હકીકત જણાવી, ત્યારે તેમણે તપાસ કરી મને ઘરે જવા કહ્યું હતું. પરંતુ બાદમાં જાણવા મળ્યું કે પોલીસે મારા પુત્રને છોડવાને બદલે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગ્યા હતા. જ્યારે મેં ભરત પાટીલને પૂછ્યું તો તેમણે કહ્યું કે 'મેટર ઉપર સુધી પહોંચી ગઈ છે, હજુ બીજા પૈસા આપવા પડશે'. CCTV ફૂટેજ તપાસવા માંગ01 જાન્યુઆરીએ પુત્ર જામીન પર છૂટ્યા બાદ, પિતાએ ન્યાય માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. તેમણે માંગ કરી છે કે વિજલપોર પોલીસ સ્ટેશનના તે દિવસોના CCTV ફૂટેજ તપાસવામાં આવે. ભ્રષ્ટ પોલીસકર્મીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાય. આ મામલે સાક્ષી તરીકે તેમના ભાણેજ રાહુલ પાટીલનું નિવેદન લેવામાં આવે. SPએ એક્શન લીધા, પણ સસ્પેન્શનની માંગઆ ગંભીર આક્ષેપો નવસારી SP રાહુલ પટેલ સુધી પહોંચતા તેમણે તાત્કાલિક પગલાં ભરીને કોન્સ્ટેબલ ભરત પાટીલની વાંસદા અને ચેતન પટેલની બીલીમોરા ખાતે બદલી કરી દીધી છે. જોકે, સ્થાનિકો અને પીડિત પરિવારમાં ચર્ચા છે કે આ બંને કર્મચારીઓ છેલ્લા પાંચ વર્ષથી વિજલપોરમાં જ હતા અને 'કેશિયર' તરીકેની ભૂમિકા ભજવતા હોવાની ચર્ચા પણ તે જ બની છે, તેથી માત્ર બદલી નહીં પણ તેમને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી ચર્ચા વિજલપોર શહેરમાં ઉઠી છે તપાસ શરૂ, ઉચિત વધુ પગલાં લેવાશેઆ સમગ્ર પ્રકરણમાં વિજલપોર પોલીસ સ્ટેશનના પીઆઇ નિલેશ રાઠોડ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આ સમગ્ર પ્રકરણમાં ભરત પાટીલની વાંસદા ખાતે બદલી કરવામાં આવી છે. સાથે જ બીજા અન્ય એક કર્મચારી ચેતન પટેલની બીલીમોરા ખાતે બદલી કરવામાં આવી છે, જ્યારે મેહુલ નામનો ખાનગી વ્યક્તિ છે આ સમગ્ર પ્રકરણમાં તપાસ શરૂ કરવામાં આવી છે અને ત્યારબાદ ઉચિત વધુ પગલાં લેવામાં આવશે.
વિજાપુરના ધારાસભ્ય ડો. સી.જે. ચાવડાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને વિજાપુર નગરપાલિકાને ‘ક’વર્ગમાંથી અપગ્રેડ કરી ‘અ’ વર્ગનો દરજ્જો આપવા માટે ખાસ કિસ્સામાં રજૂઆત કરી છે.તાજેતરમાં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ વિજાપુર પાલિકાની હદમાં ઓ.જી. વિસ્તારનો સમાવેશ થતા ભૌગોલિક વિસ્તાર અને વસ્તીમાં મોટો વધારો થયો છે, જેને ધ્યાને રાખી આ માગણી કરવામાં આવી છે. વિજાપુરની વસ્તીમાં આશરે 40 હજાર જેટલો વધારો થયો ધારાસભ્યએ રજૂઆતમાં જણાવ્યું છે કે, નવા વિસ્તારોના સમાવેશ બાદ વિજાપુરની વસ્તીમાં આશરે 40 હજાર જેટલો વધારો થયો છે. પાલિકાની હદ વિસ્તરતા હવે જૂના અને નવા વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે અને પાયાની સુવિધાઓ પહોંચાડવા માટે વધુ ગ્રાન્ટની જરૂરિયાત ઊભી થઈ છે. પડોશમાં આવેલી વડનગર અને માણસા નગરપાલિકાની જેમ વિજાપુરને પણ ‘અ’ વર્ગમાં સમાવવામાં આવે તો શહેરનો વિકાસ વેગીલો બની શકે તેમ છે. 'શ્રદ્ધાળુઓની સુવિધા માટે શહેરના માળખાગત વિકાસની જરૂરિયાત'વધુમાં જણાવ્યું કે ધાર્મિક અને પ્રવાસન ક્ષેત્રે વિજાપુર શહેરે ધાર્મિક રીતે અત્યંત મહત્વનું કેન્દ્ર છે. અહીં જૈન ધર્મના પ્રખર મુનિ બુદ્ધિસાગર મહારાજ સાહેબનું જન્મસ્થાન છે. આ ઉપરાંત નજીકમાં મહુડી, આગલોડ, લાડોલ હરસિદ્ધિ માતાજીનું મંદિર અને આસોડાનું પૌરાણિક શિવ મંદિર જેવા અનેક યાત્રાધામો આવેલા છે. દરરોજ ગુજરાત સહિત મુંબઈ અને પુણે જેવા શહેરોમાંથી હજારો શ્રદ્ધાળુઓ આ માર્ગ પરથી પસાર થાય છે. પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે શહેરના માળખાગત વિકાસની તાતી જરૂરિયાત છે. સ્પેશિયલ કેસમાં ‘અ’ વર્ગનો દરજ્જો આપવા મુખ્યમંત્રીને MLAની ભલામણ ગાંધીનગરનું સેટેલાઇટ ટાઉન બનવાની ક્ષમતા ગાંધીનગર પાટનગરની નજીક હોવાથી વિજાપુરનો દૈનિક વ્યવહાર પાટનગર સાથે જોડાયેલો છે. ભવિષ્યમાં જો ગાંધીનગરના સેટેલાઇટ ટાઉન વિકસાવવામાં આવે તો તેમાં વિજાપુર અગ્રેસર રહી શકે તેમ છે. આ તમામ પાસાઓ અને વિજાપુરના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાને રાખીને ડો. સી.જે. ચાવડાએ વિજાપુર નગરપાલિકાને સ્પેશિયલ કેસમાં ‘અ’ વર્ગનો દરજ્જો આપવા મુખ્યમંત્રીને ભલામણ કરી છે.
રાજકોટ જિલ્લાના નાગરિકો અને ખાસ કરીને ખેડૂત મિત્રો માટે આગામી દિવસોના હવામાન અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારત સરકારના હવામાન વિભાગ તરફથી પ્રાપ્ત વિગતોના આધારે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના તરઘડીયા સ્થિત 'ગ્રામીણ કૃષિ મોસમ સેવા વિભાગ' દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 11જાન્યુઆરી સુધી જિલ્લામાં હવામાન સંપૂર્ણપણે ચોખ્ખું અને સૂકું રહેશે. આગાહી મુજબ, 07 થી 11 જાન્યુઆરી દરમિયાન મહત્તમ તાપમાન 31 થી 32 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે, જ્યારે રાત્રિના સમયે લઘુતમ તાપમાનનો પારો 12 થી 14 ડિગ્રી સુધી નીચો જઈ શકે છે. આના કારણે વહેલી સવારે અને રાત્રે ઠંડીનું જોર યથાવત રહેશે. હવામાં મહત્તમ ભેજનું પ્રમાણ 85 થી 90 ટકા અને લઘુતમ ભેજ 30 થી 35 ટકા રહેવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન મુખ્યત્વે ઈશાન અને ઉત્તર દિશાના પવનો ફૂંકાશે. પવનની ઝડપ 12 થી 15 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. સૂકા હવામાનને જોતા ખેડૂતોને તેમના પાકની જાળવણી માટે જરૂરી વ્યવસ્થા કરવા સૂચન કરવામાં આવ્યું છે.
પાટણ ખાતે રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભ 2025 અંતર્ગત અંડર-14 કુસ્તી સ્પર્ધાનો પ્રારંભ થયો છે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત આ સ્પર્ધા 6 થી 8 જાન્યુઆરી 2026 દરમિયાન પાટણના રમતગમત સંકુલ ખાતે યોજાશે. આ સ્પર્ધામાં રાજ્યના 35 જિલ્લાઓમાંથી 650થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. પ્રથમ દિવસે અંડર-14 વિભાગમાં 35 જિલ્લાના 316 ભાઈઓએ કુસ્તીના દાવપેચ અજમાવ્યા હતા. 7 જાન્યુઆરીના રોજ સાંજે બહેનોની સ્પર્ધા માટે રિપોર્ટિંગ કરવામાં આવશે, જેમાં અંદાજે 350 બહેનો ભાગ લે તેવી શક્યતા છે. વિજેતા ખેલાડીઓ માટે આકર્ષક રોકડ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. પ્રથમ ક્રમે આવનારને રૂ. 10,000, દ્વિતીય ક્રમે રૂ. 7,000 અને તૃતીય ક્રમે આવનાર ખેલાડીને રૂ. 5,000ની રકમ પ્રોત્સાહન રૂપે આપવામાં આવશે. આ પુરસ્કારની રકમ સીધી જ ખેલાડીઓના બેંક ખાતામાં DBT દ્વારા જમા કરવામાં આવશે. રોકડ રકમ ઉપરાંત, વિજેતાઓને મેડલ અને ટ્રેકસૂટ આપી સન્માનિત કરવામાં આવશે.
રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે જાહેર જનતાની સુરક્ષા અને પર્યાવરણની જાળવણી માટે વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એન. કે. મુછારે એક જાહેરનામું બહાર પાડીને ચાઈનીઝ તુક્કલ, લેન્ટર્ન અને જોખમી માંજા પર પ્રતિબંધ મૂક્યો છે. મુખ્ય પ્રતિબંધિત વસ્તુઓમાં ચાઈનીઝ સાધનો જેમકે, ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુક્કલ અને લેન્ટર્ન. ચાઈનીઝ માંજા, ગ્લાસ કોટેડ દોરી (કાચ પાયેલી), સિન્થેટિક અને પ્લાસ્ટિક કોટિંગ ધરાવતી દોરી તથા નાયલોન થ્રેડનો સમાવેશ થાય છે સરકારી આદેશ અનુસાર, ચાઈનીઝ તુક્કલમાં વપરાતા નબળી ગુણવત્તાના વેક્સ પદાર્થોને કારણે પર્યાવરણને ગંભીર નુકસાન થાય છે. આ ઉપરાંત, સળગતી તુક્કલ ગમે ત્યાં પડવાથી આગના અકસ્માતો સર્જાય છે, જેનાથી જાનમાલ અને જાહેર સંપત્તિને મોટું જોખમ રહે છે. પતંગબાજીમાં વપરાતી કૃત્રિમ અને કાચ પાયેલી દોરી પક્ષીઓ અને માનવો માટે પણ જીવલેણ સાબિત થતી હોય છે. આ પ્રતિબંધાત્મક આદેશ રાજકોટ શહેર પોલીસ કમિશનરની હકુમત સિવાયના સમગ્ર રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં લાગુ પડશે. આ જાહેરનામું તા. ૦૬/૦૧/૨૦૨૬ થી તા. ૧૬/૦૧/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન પ્રતિબંધિત વસ્તુઓનું ઉત્પાદન, વેચાણ કે સંગ્રહ કરનાર વ્યક્તિ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
દેશમાં 2014થી NDAનું શાસન છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ દ્વારા આ 10 વર્ષના ગાળા દરમિયાન ગુજરાત સહિત દેશભરમાં રિપીટ થયેલા સાંસદોની સંપત્તિમાં થયેલા વધારા-ઘટાડાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ ગાળા દરમિયાન ગુજરાતમાં સાત સાંસદ રિપીટ થયા છે, જેમાં જામનગરનાં સાંસદ પૂનમ માડમની સંપત્તિમાં 10 વર્ષ દરમિયાન 130 કરોડ રૂપિયાનો તોતિંગ વધારો જોવા મળ્યો છે. જ્યારે કેન્દ્રીય મંત્રી અને પૂર્વ ગુજરાત પ્રદેશ ભાજપ-પ્રમુખ સી.આર. પાટીલની સંપત્તિમાં આશ્ચર્યજનક રીતે 47 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. 2014થી 2024 દરમિયાન રિપીટ થયેલા 103માંથી 102 સાંસદની સંપત્તિનો ADRએ રિપોર્ટ જાહેર કર્યોએસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ દ્વારા વર્ષ 2014થી 2024 વચ્ચે રિપીટ થયેલા કુલ 103માંથી 102 સાંસદના વખતોવખત ફાઈલ કરેલાં સોગંદનામાંનું વિશ્લેષણ કરી એની મિલકતમાં થયેલા વધારા-ઘટાડાનો રિપોર્ટ જાહેર કરાયો છે. - છેલ્લાં 10 વર્ષમાં રિપીટ થયેલા સાંસદોની સરેરાશ મિલકતમાં રૂ. 17.36 કરોડનો વધારો થયો છે. 2014માં સરેરાશ મિલકત રૂ. 15.76 કરોડ હતી, જે 2024માં વધીને સરેરાશ રૂ. 33.13 કરોડ થઈ ગઈ છે. ટકાવારની દૃષ્ટિએ જોઈએ તો આ વધારો 110 ટકા જેટલો છે. 2024થી 2024 દરમિયાન ગુજરાતના રિપીટ થયેલા 7 સાંસદની સંપત્તિમાં થયેલો વધારો/ઘટાડો
ધોળાવીરા ખાતે 10 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર કચ્છના સંયુક્ત ઉપક્રમે આ મહોત્સવ યોજાશે. આ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ભુજ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 18 દેશના 45 પતંગબાજો અને ભારતના 7 રાજ્યોના 23 પતંગબાજો ભાગ લેશે. કલેક્ટર દ્વારા આ પતંગબાજો માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ અંગે વિગતો મેળવીને અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમને અનુરૂપ કાઇટીસ્ટો માટેના સ્ટોલ, સ્ટેજ અને અન્ય આનુષંગિક વ્યવસ્થાઓના સુચારુ આયોજન અંગે કલેક્ટર દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી. તેમણે સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ, પતંગબાજોનું સન્માન, ફાયર બ્રિગેડ, મોબાઇલ ટોયલેટ, પાર્કિંગ, મેડિકલ ટીમ, પોલીસ વ્યવસ્થા અને ટ્રાફિક નિયમન સહિતની સુવિધાઓ ઊભી કરવા જણાવ્યું હતું. આ સમીક્ષા બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર ડી.પી. ચૌહાણ, ભચાઉ પ્રાંત અધિકારી જ્યોતિ ગોહેલ, જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર, જિલ્લા યુવા વિકાસ અધિકારી દેવાંશી ગઢવી તેમજ સંબંધિત વિભાગના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદની એમ.એમ પટેલના કોલેજના ટ્રસ્ટી તિમિર અમીન 3 લાખની લાંચ લેતા ઝડપાયા છે. ટ્રસ્ટીએ નિવૃત્ત આચાર્ય પાસેથી નિવૃતિ બાદની પેન્શન,GPA અને રજાના પૈસા રોકડમાં રૂપાંતરિત કરવા માટેની ફાઇલમાં સહી કરવા માટે 5 લાખ માંગ્યા હતા જેમાંથી 2 લાખ અગાઉ ટ્રસ્ટી લઈ લીધા હતા જ્યારે બાકીના 3 લાખ કોલેજના વોચમેનને આપવા જણાવ્યું હતું.જેથી લાંચ લેવા આવેલો વોચમેન લાંચ લેતા ઝડપાઈ ગયો હતો.ACB એ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પંચમહાલ-ગોધરાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાયોટિંગના ગુનામાં નાસતા ફરતા બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓને ગોધરાના ઇદગાહ મહોલ્લામાંથી પકડી પાડવામાં આવ્યા હતા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પંચમહાલ-ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતના માર્ગદર્શન હેઠળ, LCB ગોધરાના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એલ. દેસાઈએ વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા માટે LCB સ્ટાફના કર્મચારીઓને સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, LCB ગોધરાના પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ નારણભાઈને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, ગુનામાં નાસતા ફરતા આરોપીઓ અનસ અનવર રહેમત ઉર્ફે ભોભા અને અદનાન મોહમદ હસન, બંને હાલમાં ઇદગાહ મહોલ્લામાં હાજર છે. આ બાતમીના આધારે, LCB સ્ટાફના માણસોએ ગોધરાના ઇદગાહ મહોલ્લામાં ખાનગી વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બાતમી મુજબના બંને આરોપીઓ મળી આવતા તેમને પકડી પાડવામાં આવ્યા હતા. આરોપીઓની કાયદેસરની કાર્યવાહી કરી તેમને ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. આ કામગીરીમાં LCB ગોધરાના એ.એસ.આઈ. દિગ્પાલસિંહ દશરથસિંહ, અ.હે.કો. વિક્રમભાઈ મધુરભાઈ, અ.હે.કો. સરતાણભાઇ કરમણભાઈ, આ.પો.કો. યોગેશકુમાર સુભાષચંન્દ્ર અને આ.પો.કો. અલ્પેશભાઈ નારણભાઈ સહિતના સ્ટાફ જોડાયો હતો.
ઓડીદ્રાનો બુટલેગર પાસા હેઠળ જેલભેગો:નીરવ પરમારને કચ્છ-ભુજ જેલમાં મોકલાયો, દારૂબંધી માટે કાર્યવાહી
પંચમહાલ જિલ્લામાં દારૂબંધીની પ્રવૃત્તિઓ રોકવા માટે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ગોધરા તાલુકાના ઓડીદ્રા ગામના કુખ્યાત બુટલેગર નીરવ પરમારની પાસા (PASA) હેઠળ અટકાયત કરવામાં આવી છે. તેને કાયદેસરની કાર્યવાહી બાદ કચ્છ-ભુજની જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. નિરવ પરમાર, જે ઓડીદ્રા ગામનો લિસ્ટેડ બુટલેગર છે, તે અગાઉ કાંકણપુર પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના બે અલગ-અલગ ગુનાઓમાં સંડોવાયેલો હતો. તેની સતત વધતી જતી અસામાજિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને એલ.સી.બી. પોલીસે તેની વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી હતી. આ પાસા દરખાસ્તને જિલ્લા મેજિસ્ટ્રેટ અજય દહિયા દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. હુકમ મળ્યા બાદ એલ.સી.બી.ની ટીમે ગુપ્ત બાતમી અને વોચના આધારે નીરવકુમાર પરમારને ઝડપી પાડ્યો હતો. કાયદેસરની તમામ કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આરોપી નીરવ પરમારને પલારા ખાસ જેલ, કચ્છ-ભુજ ખાતે રવાના કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
સુરતની લાજપોર જેલમાં દુષ્કર્મ અને અન્ય ગુનાઓ હેઠળ સજા કાપી રહેલા નારાયણ સાંઈને આજે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. દુષ્કર્મના કેસમાં લાજપોર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામના પુત્ર નારાયણ સાંઈને આજે સવારે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. માથે મફલર બાંધ્યું હોવાથી પહેલાના રંગમાં ફરી દેખાતો હોય એવા દ્રશ્યો સર્જાયા હતા. જેલ પ્રશાસન દ્વારા તેને રૂટીન હેલ્થ ચેકઅપ માટે હોસ્પિટલ લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે તેને હાથકડી પહેરાવવામાં આવી ન હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સાથે તૈનાતનારાયણ સાંઈને જેલમાંથી બહાર કાઢતી વખતે અને હોસ્પિટલ પરિસરમાં લાવતી વખતે પોલીસ દ્વારા સુરક્ષાના સખત ઇન્તજામ કરવામાં આવ્યા હતા. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો તેની સાથે તહેનાત રહ્યો હતો. સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડ અને ઓપીડી વિસ્તારમાં પણ લોકોની ભીડને કાબૂમાં રાખવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જેલના કપડા પહેરાવવાને બદલે સાદા ડ્રેસમાં લવાયોસુરત નવી સિવિલ હોસ્પિટલથી મળતી માહિતી મુજબ લાજપોરની સેન્ટ્રલ જેલમાં બંધ પાકા કામના કેદી નારાયણ સાંઈને નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પાકા કામના કેદી નારાયણ સાઈને જેલના કપડા પહેરાવવાને બદલે સાદા ડ્રેસમાં લવાયો હતો. તેના હાથમાં હથકડી પણ નહોતી. જો કે, સિવિલ હોસ્પિટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બંદોબસ્ત સાથે જ નારાયણ સાઈને લઈ જવામાં આવ્યો હતો. નારાયણ સાંઈની તબીબો દ્વારા વિવિધ તપાસ કરાઈનવી સિવિલ હોસ્પિટલના તબીબોની એક ખાસ પેનલ દ્વારા નારાયણ સાંઈના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર તેના સોનોગ્રાફી, બ્લડ પ્રેશર અને સુગર લેવલની તપાસ કરવામાં આવી હતી. આ સાથે શારીરિક નબળાઈ અથવા અન્ય કોઈ સામાન્ય તકલીફો અંગે જરૂરી રિપોર્ટ્સ કરાવવામાં આવ્યા હતાં. ત્યારબાદ તબીબોએ તેમની પ્રાથમિક તપાસ બાદ જરૂરી દવાઓ અને સૂચનો પણ આપ્યા હતા. નારાયણ સાંઈ છેલ્લા 12 વર્ષથી જેલમાંચેકઅપની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નારાયણ સાંઈને ફરીથી કડક સુરક્ષા હેઠળ લાજપોર જેલ પરત લઈ જવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, નારાયણ સાંઈ છેલ્લા 12 વર્ષથી જેલમાં છે અને સમયાંતરે નિયમ મુજબ તેમને સ્વાસ્થ્ય પરીક્ષણ માટે હોસ્પિટલ લાવવામાં આવતા હોય છે. જોકે લક્ઝુરિયસ લાઈફ જીવતો નારાયણ સાઈ જેલની અંદર બીમારીઓનું ઘર બની ગયો હોય તે પ્રકારની સ્થિતિ પણ બની ગઈ છે. નારાયણ સાંઈ લાજપોર જેલમાં બીમારીનો ભોગ બન્યોમહેલ જેવા આશ્રમોમાં લક્ઝુરિયસ લાઈફ જીવતા નારાયણ સાંઈ લાજપોર જેલમાં બીમારીનો ભોગ બન્યો છે. નારાયણ સાઈને અગાઉ કમર, હાડકાનો રોગ થયો હતો. સાથે જ દાંતના અને જડબાને લગતા રોગો થયા હોવાની અવારનવાર ફરિયાદ કરતો રહે છે. જેથી તેને અવારનવાર સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવતો હોય છે.
પંચમહાલ LCBએ ગોધરામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો:ઇંડાની આડમાં છુપાવેલો રૂ. 21.15 લાખનો દારૂ જપ્ત
પંચમહાલ-ગોધરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ગોધરા તાલુકાના કેવડિયા ગામેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પીકઅપ સ્ટેન્ડ પાસે નાકાબંધી દરમિયાન ઇંડાની કેરેટોની આડમાં છુપાવેલો રૂ. 21.15 લાખથી વધુનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે બોલેરો પીકઅપ, મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ રૂ. 26.98 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે. પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતની સૂચના મુજબ, જિલ્લામાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે LCB ઇન્સ્પેક્ટર એન.એલ. દેસાઈએ સ્ટાફને પ્રોહિબિશનની હેરાફેરી કરતા ઇસમો પર વોચ રાખી કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો. આ સૂચનાના આધારે, LCB ગોધરાના એ.એસ.આઇ. નાદીરઅલી નિઝામુદીન અને હેડ કોન્સ્ટેબલ કેહજીભાઈને બાતમી મળી હતી. બાતમી મુજબ, MH-12-QG-6162 નંબરની સફેદ બોલેરો પીકઅપ ઇંડાની કેરેટોની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી સંતરોડ તરફથી આવી રહી હતી અને વડોદરા તરફ જવાની હતી. આ ચોક્કસ બાતમીના આધારે, પો.સ.ઈ. એસ.આર. શર્મા અને LCB સ્ટાફના માણસોએ કેવડિયા પીકઅપ સ્ટેન્ડ પાસે નાકાબંધી કરી હતી. બાતમી મુજબની બોલેરો પીકઅપ આવતા તેને રોકવામાં આવી હતી અને એક ઇસમને પકડવામાં આવ્યો હતો. વાહનની તપાસ કરતા, ઇંડા ભરેલી કેરેટો જોવા મળી હતી, જે પ્લાસ્ટિકના ઇંડા હોવાનું જણાયું હતું. આ કેરેટો હટાવતા તેની આડમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના 10320 ક્વાર્ટરિયા (કિંમત રૂ. 21,15,600), બોલેરો પીકઅપ ગાડી (કિંમત રૂ. 5,00,000), એક મોબાઈલ ફોન (કિંમત રૂ. 5,000), રોકડા રૂ. 17,800 અને ઇંડા સહિત 600 નંગ કેરેટ (કિંમત રૂ. 60,000) સહિત કુલ રૂ. 26,98,400 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલ આરોપીનું નામ રવી ઉર્ફે પ્રકાશ બિશ્નોઈ છે, જે રાજસ્થાનનો રહેવાસી છે. આરોપી વિરુદ્ધ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કામગીરીમાં પો.સ.ઈ. એસ.આર. શર્મા, એ.એસ.આઈ. નાદીરઅલી , દિગ્પાલસિંહ , હેડ કોન્સ્ટેબલ કેહજીભાઈ , કૃષ્ણકાંત, ભુપેન્દ્રસિંહ , જોગેન્દ્રસિંહ , વિક્રમભાઈ, સરતાણભાઈ, કિર્તેશકુમાર , શૈલેષકુમાર, પોલીસ કોન્સ્ટેબલ યોગેશકુમાર અને અલ્પેશભાઇ સહિતના LCB સ્ટાફના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં સિંચાઈ સુવિધાઓને મજબૂત કરવા માટે રાજ્ય સરકારે રૂ. 6.40 કરોડ મંજૂર કર્યા છે. આ ભંડોળ ધારાસભ્ય મહેશ કસવાલાની સક્રિય રજૂઆતો અને સતત પ્રયત્નોના પરિણામે ફાળવવામાં આવ્યું છે. આ ભંડોળનો ઉપયોગ કુલ 11 સિંચાઈના કામો માટે કરવામાં આવશે. જેમાં નાના લીલીયા ગામે માટીના બંડની મરામત (રૂ. 31.21 લાખ), ભેસવડી ચેકડેમની મરામત અને મજબૂતીકરણ (રૂ. 136.73 લાખ), કુતાણા ગામે મરામત (રૂ. 5.96 લાખ), ઈગોરાળા ડાંડ બંધારા ડેમની મરામત (રૂ. 18.84 લાખ), ઈગોરાળા ડાંડ ચેકડેમ રીપેરીંગ (રૂ. 4.50 લાખ), સલડી ગામે નાની સિંચાઈના કામોની મરામત (રૂ. 286.30 લાખ), મોટા કણકોટમાં પૂર સંરક્ષણ દીવાલ (રૂ. 29 લાખ), બોડીયા ગામે પ્રોટેક્શન વોલ (રૂ. 48.06 લાખ), સલડી ગામે સ્મશાન પાસે એફ.પી. વોલ (રૂ. 24.07 લાખ), પુંજાપાદર ગામે ચેકડેમ મરામત (રૂ. 66.14 લાખ) અને ક્રાંકચ ગામે તળાવનું રીનોવેશન (રૂ. 5 લાખ)નો સમાવેશ થાય છે. આ વિકાસકામો થકી લીલીયા તાલુકાના ખેડૂતોને પૂરતું સિંચાઈ પાણી મળશે, જેનાથી ખેતી ઉત્પાદનમાં વધારો થશે અને ગ્રામ્ય વિસ્તારની આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આ ભંડોળ દ્વારા વર્ષો જૂના જર્જરિત ચેકડેમો અને તળાવોનો પણ જીર્ણોદ્ધાર કરવામાં આવશે. ધારાસભ્ય મહેશ કસવાલાએ આ મહત્વપૂર્ણ સહાય બદલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જળસંપત્તિ મંત્રી ઈશ્વરભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.
છોટા ઉદેપુર ખાતે જિલ્લા પ્રભારી મંત્રી મનીષાબેન વકીલે આજે વિકાસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન - ગ્રામીણ VB-G RAM G યોજના અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી. કેન્દ્ર સરકારે તાજેતરમાં મનરેગા યોજનાનું નામ બદલીને નવા સ્વરૂપમાં મંજૂર કરી છે. આ સંદર્ભે, પ્રભારી મંત્રીએ સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાની ઉપસ્થિતિમાં આ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પ્રેસ કોન્ફરન્સમાં પ્રભારી મંત્રીએ જણાવ્યું કે, જી રામજી યોજના હેઠળ સરકાર દ્વારા હવે 100 દિવસને બદલે 125 દિવસની રોજગારી આપવાની જોગવાઈ કરવામાં આવી છે. લાભાર્થીઓને સીધા DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) મારફતે ચૂકવણી કરવામાં આવશે અને આધાર લિંક લાભાર્થી બનાવવાની પણ જોગવાઈ છે. નવી જોગવાઈ મુજબ, યોજનામાં 60 ટકા ભંડોળ કેન્દ્ર સરકાર અને 40 ટકા ભંડોળ રાજ્ય સરકાર આપશે. આનાથી રાજ્ય સરકારની જવાબદારી પણ વધશે અને ગેરરીતિ અટકાવવામાં મદદ મળશે તેવી વાત તેમણે મીડિયા દ્વારા લોકો સુધી પહોંચાડી હતી.
અંતરિયાળ ડાંગથી રાષ્ટ્રીય સપાટીએ ઉડાનચિરાપાડાની દીકરી ફ્રેની ચૌધરીની BCCI અંડર-15 મહિલા ટીમમાં ઐતિહાસિક પસંદગી ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર તરીકે ઓળખાતા ચિરાપાડા ગામ માટે ગૌરવની ક્ષણ આવી છે. આ ગામની પ્રતિભાશાળી દીકરી ફ્રેનીબેન અરવિંદભાઈ ચૌધરીની BCCIની અંડર-15 વુમન્સ ક્રિકેટ ટીમમાં ઓલરાઉન્ડર તરીકે પસંદગી થતા સમગ્ર જિલ્લામાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. મર્યાદિત સંસાધનો વચ્ચે સતત મહેનત અને અડગ આત્મવિશ્વાસથી ફ્રેનીએ રાષ્ટ્રીય સ્તરે પોતાનું નામ ઊજાગર કર્યું છે. ફ્રેનીના પિતા અરવિંદભાઈ ચૌધરી હાલ SRP યુનિટ, વાવ ખાતે ફરજ બજાવે છે. પરિવારનો મજબૂત સહકાર અને શિસ્તબદ્ધ વાતાવરણ ફ્રેનીની સફળતાનો આધાર બન્યો છે. બાળપણથી જ ક્રિકેટ પ્રત્યે ઝંખના ધરાવતી ફ્રેનીએ સુરત ખાતે DLSSમાં મેન રનિંગ લઈ પોતાની ફિટનેસ અને ટેક્નિક પર ખાસ ધ્યાન આપ્યું. નોંધપાત્ર રીતે, ફક્ત 11 વર્ષની ઉંમરે નેશનલ એન્થલિસ્ટ અંડર-14માં ભાગ લઈને તેણે પોતાની પ્રતિભાનો પરચો આપ્યો હતો. હાલ 13 વર્ષની ફ્રેની સુરતની જેબી ડાયમંડ સ્કૂલમાં અભ્યાસ કરી રહી છે. અભ્યાસ સાથે રમતનું સંતુલન જાળવીને તે ફ્રી ક્રિકેટ એકેડમીમાં ધનશુખભાઈ પટેલ પાસે નિઃશુલ્ક તાલીમ લઈ રહી છે. ઉપરાંત, જય અંબે ક્રિકેટ એકેડમીમાં કોચ ચિરાગ પટેલના માર્ગદર્શન હેઠળ પણ સતત પ્રેક્ટિસ કરી રહી છે. બે અલગ-અલગ એકેડેમીમાં મળતા ગુણવત્તાસભર માર્ગદર્શનથી ફ્રેનીની બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. કોચોનું યોગ્ય માર્ગદર્શન, પરિવારનો અડગ સાથ અને પોતાની અવિરત મહેનતના પરિણામે આજે ફ્રેનીએ અંતરિયાળ ડાંગમાંથી રાષ્ટ્રીય મંચ સુધી પહોંચીને ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેની આ પસંદગી માત્ર એક વ્યક્તિગત સફળતા નથી, પરંતુ ડાંગ જિલ્લાના અનેક ઉદયમાન ખેલાડીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે. ફ્રેનીની સિદ્ધિ બદલ ગામજનો, શાળા પરિવાર, કોચો અને રમતપ્રેમીઓ તરફથી અભિનંદન વરસી રહ્યા છે. આશા છે કે આવનારા સમયમાં ફ્રેની ભારતીય મહિલા ક્રિકેટમાં નવી ઊંચાઈઓ સર કરશે અને ડાંગ જિલ્લાનું નામ દેશભરમાં ગૌરવથી ઉજાગર કરશે.
જામનગર LCB પોલીસે જાબુડા પાટીયા નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે બ્રેઝા કારમાંથી 402 બોટલ વિદેશી દારૂ અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 11.27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક ફરાર છે. જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના બાદ LCB PI વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ PSI સી.એમ. કાંટેલીયા અને PSI પી.એન. મોરી સહિતનો સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન LCB સ્ટાફના દિલીપભાઈ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા અને કાસમભાઈ બ્લોચને ખાનગી બાતમી મળી હતી કે, ધ્રોલ તરફથી એક બ્રેઝા કારમાં વિદેશી દારૂનો જથ્થો પસાર થવાનો છે. બાતમીના આધારે પોલીસે જાબુડા ગામના પાટીયા પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બ્રેઝા કાર જાબુડા પાટીયાથી અલિયાબાડા થઈ મિયાત્રા ગામ તરફ ભાગી હતી. પોલીસે પીછો કરીને કાર ચાલક કિશનભાઈ ઉર્ફે ડેન્કર નાથાભાઈ ગીગડ (ઉં.વ. 30, રહે. વિક્ટોરિયા પુલ પાસે, ભારતવાસ, જામનગર, મૂળ-જાબુડા) ને ઝડપી પાડ્યો હતો. પોલીસે કારમાંથી વિદેશી દારૂની 402 બોટલ (કિંમત રૂ. 5,22,600), બ્રેઝા કાર (કિંમત રૂ. 6,00,000) અને એક મોબાઈલ ફોન (કિંમત રૂ. 5,000) સહિત કુલ રૂ. 11,27,600 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં ઇનાયત ઉર્ફે તોતો ઉર્ફે ટાઈગર ઇબ્રાહીમ મસિયાર (રહે. જામનગર) નામનો આરોપી ફરાર છે અને તેને પકડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલે પો. હેડ કોન્સ્ટેબલ મયુરસિંહ પરમારે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પો. હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ઝાલાએ પ્રોહિબિશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી છે. આ સમગ્ર કાર્યવાહીમાં PI વી.એમ. લગારીયા, PSI સી.એમ. કાંટેલીયા, PSI પી.એન. મોરી અને LCB સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડીયા, કાસમ બ્લોચભાઈ અને હિતેન્દ્રસિંહ જાડેજા સહિતના જોડાયા હતા.
પાટણ શહેરમાં ઉતરાયણ પર્વ નિમિત્તે નગરપાલિકાની માલિકીની જમીન પર મંજૂરી વગર ઉભા કરાયેલા હંગામી મંડપોના નાણાં વસૂલ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. પાટણ નગરપાલિકાના કોર્પોરેટર ભરત ભાટીયા દ્વારા ચીફ ઓફિસરને આ અંગે પત્ર પાઠવવામાં આવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, શહેરના વિવિધ વિસ્તારોમાં પતંગ-દોરીના વેપાર માટે પાલિકાની પૂર્વ મંજૂરી વગર અને કોઈપણ પ્રકારની ફી ભર્યા વિના હંગામી મંડપો ઉભા કરી દેવામાં આવ્યા છે. આ ગેરકાયદેસર મંડપોને કારણે સ્થાનિક રહીશોને હાલાકી ભોગવવી પડી રહી છે અને ટ્રાફિકની સમસ્યા પણ જટિલ બની છે. વધુમાં, રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બિન પરવાનગી ઉભા થયેલા આ મંડપોને કારણે નગરપાલિકાને મળતી મહેસૂલી આવકમાં મોટું નુકસાન થઈ રહ્યું છે. પાલિકાના સત્તાધીશો દ્વારા નિયમ મુજબના નાણાં ભરાવવા માટે સત્વરે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ સાથે જ તકેદારી રાખવા પણ સૂચન કરવામાં આવ્યું છે કે નગરપાલિકાના કોઈ કર્મચારી કે અધિકારી આ મંડપ ધારકો પાસેથી ગેરકાયદેસર રીતે નાણાં વસૂલ ન કરે. પાલિકાની મહેસૂલી આવક મજબૂત કરવા અને ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે આ બાબતે થયેલી કાર્યવાહીની લેખિતમાં જાણ કરવા પણ જણાવાયું છે.
ભરૂચમાં ભારત મુક્તિ મોરચા, બહુજન ક્રાંતિ મોરચા, રાષ્ટ્રીય પછાત વર્ગ મોરચા અને રાષ્ટ્રીય પરિવર્તન મોરચાના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર સુપરત કરાયું હતું. આ આવેદનપત્ર જિલ્લા કલેક્ટર મારફતે મોકલવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં આક્ષેપ કરાયો છે કે, મૂળનિવાસી બહુજન સમાજના કર્મચારીઓના રાષ્ટ્રવ્યાપી સંગઠન બામસેફ અને તેના સહયોગી સંગઠન ભારત મુક્તિ મોરચાનું ડિસેમ્બર-૨૦૨૫માં ઓડિશામાં યોજાનાર રાષ્ટ્રીય અધિવેશન ગેરકાયદેસર રીતે અટકાવવામાં આવ્યું છે. આ કાર્યવાહીને ભારતના બંધારણમાં નાગરિકોને મળેલા બંધારણીય અધિકારોનો ભંગ ગણાવવામાં આવ્યો છે. આ ઘટનાના વિરોધમાં ઉપરોક્ત સંગઠનો દ્વારા ચાર ચરણોમાં રાષ્ટ્રવ્યાપી આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. આ આંદોલનના પ્રથમ ચરણ અંતર્ગત દેશભરમાં રાષ્ટ્રપતિને આવેદનપત્ર સુપરત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મૂળનિવાસી બહુજન સમાજના વિવિધ સંગઠનોના પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં લંકેશ મયાત્રા, ચેતન ગોહિલ, અનંત મોટાવલ, અરવિંદ પરમાર, ઈશ્વર વાઘેલા, નરેશ ગોહિલ, માવજી ખુમાણ, પરેશ મહેતા, નટવર રોહિત સહિત અનેક સામાજિક કાર્યકરો હાજર રહ્યા હતા.
નવસારીમાં સાયબર છેતરપિંડીનો એક નવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગણદેવીના એક મિકેનિકલ એન્જિનિયરને ફેસબુક પર મેક્સિકોની યુવતી સાથે મિત્રતા કરવી મોંઘી પડી છે. ઠગ ટોળકીએ દિલ્હી એરપોર્ટ પર ચેક અને પાર્સલ અટક્યા હોવાનું કહીને યુવાન પાસેથી કુલ 3,71,998 પડાવી લીધા હતા. આ મામલે સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગણદેવા ગામના રહેવાસી બ્રિજેશ મિસ્ત્રીને સપ્ટેમ્બર 2025માં ફેસબુક પર 'Mery Benedict' નામની પ્રોફાઈલ પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી હતી. વાતચીત દરમિયાન, યુવતીએ પોતાને મેક્સિકોની અને લંડનમાં ગોલ્ડ શોપમાં મેનેજર તરીકે ઓળખાવી વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ તેણે બ્રિજેશ મિસ્ત્રી સાથે વોટ્સએપ પર વાતચીત શરૂ કરી અને ભારત ફરવા આવવાની લાલચ આપી હતી. 17 ઓક્ટોબરના રોજ, યુવતીએ દિલ્હી એરપોર્ટ પર પહોંચી હોવાની ખોટી ટિકિટ મોકલી. બાદમાં તેણે ફોન કરીને જણાવ્યું કે તેની પાસે 60,000 પાઉન્ડનો ચેક (આશરે ₹70 લાખ) છે, જે એન્ટી મની લોન્ડરિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. આ ચેક છોડાવવા માટે ₹2.05 લાખ ભરવા પડશે તેમ કહીને તેણે બ્રિજેશને પૈસા ટ્રાન્સફર કરવા જણાવ્યું. યુવાને તેની વાતોમાં આવીને લોન લઈને અલગ-અલગ ગૂગલ પે નંબર પર આ રકમ મોકલી આપી હતી. આ રકમ મળ્યા પછી પણ ઠગ ટોળકીની લાલચ અટકી નહોતી. યુવતીએ ફરીથી જણાવ્યું કે તેણે લંડનથી 10,000 ડોલર અને કપડાંનું પાર્સલ મોકલ્યું છે, જે એરપોર્ટ પર અટક્યું છે. આ સમયે, વડોદરા પાર્સલ વિભાગમાંથી બોલતી હોવાનો ઢોંગ કરીને એક અજાણી મહિલાએ પણ ફોન કર્યો અને વધુ ₹2.05 લાખની માંગણી કરી. સતત નાણાંની માંગણી થતા બ્રિજેશભાઈને છેતરપિંડીનો અહેસાસ થયો હતો. બ્રિજેશ મિસ્ત્રીએ છેતરાયા હોવાનું જણાતા તપાસ કરતા જાણવા મળ્યું કે તેણે નીચેના નામો સાથે સંકળાયેલા ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર કર્યા હતા: મોહમ્મદ અબરાર (ગૂગલ પે), નીતા સુજીત શેટ્ટી (ગૂગલ પે), વિશાખા વિકાસ ગૌરવ, અને ચટકગઈ (ઇન્ડિયન ઓવરસીઝ બેંક ખાતું). સાયબર પોલીસમાં ફરિયાદ: ભોગ બનનાર એન્જિનિયરે તાત્કાલિક 1930 હેલ્પલાઇન પર ફરિયાદ કરી હતી અને હવે આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણી મહિલા અને ટોળકી વિરુદ્ધ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મનરેગાનું સ્થાન લેશે VBG રામજી અધિનિયમ:કેન્દ્ર સરકારનો નવો કાયદો, શ્રમિકોને મળશે 125 દિવસની રોજગારી
કેન્દ્ર સરકારે ગ્રામીણ વિકાસ અને રોજગાર ક્ષેત્રે મોટો ફેરફાર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ 'મનરેગા' યોજનાનું સ્થાન હવે 'વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ): વી.બી.જી. રામજી અધિનિયમ, 2025' લેશે. આ નવા કાયદા હેઠળ શ્રમિકોને 125 દિવસની રોજગારીની ગેરંટી મળશે. વલસાડ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ભાજપના અગ્રણીઓએ આ નવા અધિનિયમની વિગતો આપી હતી. અગાઉ મનરેગા હેઠળ શ્રમિકોને વર્ષમાં 100 દિવસનું કામ મળતું હતું, જે હવે વધારીને 125 દિવસ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, શ્રમિકોના કામનું વેતન હવે સીધું તેમના ખાતામાં (DBT) માત્ર 7 દિવસમાં જમા કરી દેવામાં આવશે, જે અગાઉ મહિનાઓનો સમય લેતી પ્રક્રિયા હતી. ખેતીકામ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. વાવણી અને કાપણીની સીઝન દરમિયાન શ્રમિકોની અછત ન સર્જાય તે માટે રાજ્ય સરકાર વર્ષમાં 60 દિવસ સુધી યોજનાના કામો અસ્થાયી રીતે સ્થગિત કરી શકશે. ભ્રષ્ટાચાર પર લગામ કસવા માટે તમામ કામોનું જીઓ-ટેગિંગ કરાશે અને શ્રમિકોની હાજરી બાયોમેટ્રિક પદ્ધતિથી લેવામાં આવશે. સોશિયલ ઓડિટને પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર 60% અને રાજ્ય સરકાર 40% હિસ્સો આપશે. હિમાલયના રાજ્યો માટે કેન્દ્ર 90% અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે 100% ફંડિંગ કેન્દ્ર સરકાર ભોગવશે. નવા કાયદા હેઠળ ગ્રામ પંચાયતોને વધુ સત્તા આપવામાં આવી છે. કયા કામો કરવા તેનો નિર્ણય હવે ગ્રામસભા લેશે અને ઓછામાં ઓછા 50% કામો સીધા ગ્રામ પંચાયતો દ્વારા જ કરાવવામાં આવશે. મુખ્યત્વે જળ સંરક્ષણ, આંતરમાળખાકીય સુવિધાઓ અને આપત્તિ વ્યવસ્થાપન જેવા કામો પર ધ્યાન કેન્દ્રિત કરાશે. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણના પત્રનો હવાલો આપતા જણાવવામાં આવ્યું હતું કે, વિરોધ પક્ષો આ કાયદા બાબતે ગ્રામીણ વિસ્તારોમાં ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ અધિનિયમનું નામ ભગવાન શ્રી રામના નામ પરથી 'વી.બી.જી. રામજી' રાખવામાં આવ્યું છે, જે મહાત્મા ગાંધીના 'રામ રાજ્ય' અને 'ગ્રામ સ્વરાજ'ના સંકલ્પને સાકાર કરવાનું પ્રતીક છે. આ યોજના માત્ર રોજગાર જ નહીં, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં શાળાઓ, હોસ્પિટલો, આંગણવાડીઓ અને પાકા રસ્તાઓ બનાવીને 'વિકસિત ગામ'ના નિર્માણમાં મહત્વનો ફાળો આપશે.
પાટડીમાં ચાઈનીઝ દોરીથી ઘવાયેલા ઘુવડને બચાવાયું:શક્તિમાતા મંદિરના પૂજારીએ દોરી કાઢી નવજીવન આપ્યું
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં ચાઈનીઝ દોરીથી ગંભીર રીતે ઘવાયેલા એક ઘુવડને નવજીવન મળ્યું છે. પાટડી શક્તિમાતા મંદિરના પૂજારી રાજુભાઈએ ઘાયલ ઘુવડને બચાવી તેના શરીર પરથી ચાઈનીઝ દોરી દૂર કરી હતી. આ ઘટના શક્તિમાતા મંદિર પાસે બની હતી. ઘુવડના ગળા અને શરીરના ભાગે ચાઈનીઝ દોરી વીંટળાઈ જતાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યું હતું. રાજુભાઈની નજર પડતાં તેમણે ઘુવડને સુરક્ષિત રીતે પકડી લીધું. પૂજારી રાજુભાઈએ અત્યંત કાળજીપૂર્વક ઘુવડના શરીર પર વીંટળાયેલી ચાઈનીઝ દોરીને ધીમે ધીમે કાઢી નાખી. આ પ્રયાસથી ઈજાગ્રસ્ત ઘુવડને નવજીવન મળ્યું અને તેને બચાવી શકાયું. ઉત્તરાયણના તહેવાર નજીક આવતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો વેપલો બેરોકટોક ચાલી રહ્યો છે. જીવદયા પ્રેમીઓએ લોકોને, ખાસ કરીને યુવાનોને, ચાઈનીઝ દોરીનો ઉપયોગ ટાળવા અપીલ કરી છે, જેથી અબોલ જીવોને અકાળે મૃત્યુથી બચાવી શકાય.
પાટણ નાગરિક સહકારી બેંકમાં ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપો થયા છે. નાગરિક હિત રક્ષક સમિતિના કન્વીનર જયેશભાઈ પટેલે આ અંગે પાટણ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે બેંકમાં આશરે 11 જગ્યાઓ માટે ભરતી કરવાની હોવા છતાં, પ્રક્રિયા ખાનગી રીતે હાથ ધરવામાં આવી રહી છે. આગામી 11 જાન્યુઆરી, 2026 ના રોજ શેઠ એમ.એન. હાઈસ્કૂલ ખાતે ખાનગી ઇન્ટરવ્યુ ગોઠવીને માનીતા ઉમેદવારોને નોકરી આપવાની તૈયારીઓ ચાલી રહી હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. સમિતિએ વધુમાં જણાવ્યું કે બેંકના લગભગ 95% ડિરેક્ટરોએ RBIની માર્ગદર્શિકા મુજબ 10 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે અને તેઓ ફરીથી ચૂંટણી લડવા પાત્ર નથી. પોતાની સત્તાના અંતિમ સમયમાં તેઓ પોતાના પુત્રો, પુત્રવધૂઓ અને અન્ય સંબંધીઓને બેંકમાં નોકરીએ લગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પ્રકારની ગેરકાયદેસર ભરતીથી બેંકના સભાસદો અને બેરોજગાર યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો આ ભરતી પ્રક્રિયા તાત્કાલિક અટકાવવામાં નહીં આવે તો બેરોજગાર યુવાનો અને સભાસદો દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ મામલે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ અને બેંકના સત્તાધીશોને પણ જાણ કરવામાં આવી છે.
અમિત શાહ 13 જાન્યુઆરીએ આણંદ આવશે:ચારૂસેટનો 15મો પદવીદાન સમારંભ, 2794 વિદ્યાર્થીઓને ડિગ્રી મળશે
નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સીલ (NAAC) દ્વારા “A+” ગ્રેડ પ્રાપ્ત અને ગુજરાત સરકાર દ્વારા 'સેન્ટર ઓફ એક્સલન્સ' તરીકે માન્યતા પ્રાપ્ત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારૂસેટ), ચાંગાનો 15મો પદવીદાન સમારંભ 13 જાન્યુઆરી, 2026ના રોજ ચારૂસેટ કેમ્પસમાં યોજાશે. આ સમારંભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારમંત્રી અમિતભાઈ શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી દીક્ષાંત પ્રવચન આપશે. ચારૂસેટના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ અધ્યક્ષસ્થાને રહેશે. કુલ 2794 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે, જેમાં 1076 વિદ્યાર્થિનીઓ અને 1718 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિવિધ વિદ્યાશાખાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 45 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ અર્પણ કરાશે, જેમાં 28 વિદ્યાર્થિનીઓ અને 14 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. 38 વિદ્યાર્થીઓને પી.એચ.ડી.ની ડિગ્રી પણ એનાયત થશે, જેમાં 19 વિદ્યાર્થિનીઓ અને 19 વિદ્યાર્થીઓ છે. ચારૂસેટના રજીસ્ટ્રાર ડો. બિનીત પટેલે ગોલ્ડ મેડલની વિશિષ્ટતાઓ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં 2012ના પ્રથમ પદવીદાન સમારંભથી તેજસ્વી વિદ્યાર્થીઓને 14 કેરેટના 15 ગ્રામ વજનના શુદ્ધ સુવર્ણ ચંદ્રક આપવાની પરંપરા છે. અત્યાર સુધીમાં કુલ 14 પદવીદાન સમારંભમાં 439 ગોલ્ડ મેડલ એનાયત કરાયા છે. આગામી સમારંભમાં પણ 45 ગોલ્ડમેડલ શુદ્ધ સોનાના હશે. આ પદવીદાન સમારંભમાં ફેકલ્ટી ઓફ ફાર્મસીના 173, ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના 429, ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સના 183, ફેકલ્ટી ઓફ સાયન્સના 197, ફેકલ્ટી ઓફ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન્સના 692 અને ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનીયરીંગના 1120 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરાશે. કુલ ડિગ્રીઓમાં 2018 અંડર ગ્રેજ્યુએટ, 713 પોસ્ટ ગ્રેજ્યુએટ, 25 પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અને 38 પી.એચ.ડી. ડિગ્રીનો સમાવેશ થાય છે. આ પ્રસંગે માતૃસંસ્થા, કેળવણી મંડળ અને સી.એચ.આર.એફ.ના માનદ મંત્રી ડો. એમ. સી. પટેલ, માતૃસંસ્થાના પ્રમુખ કિરણભાઈ પટેલ અને સી.એચ.આર.એફ.ના પ્રમુખ તથા સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે.
પાલનપુરને ત્રણ દિવસ ધરોઈનું પાણી નહીં મળે:મુખ્ય પાઈપલાઈનના શિફ્ટિંગને કારણે પાણીકાપ
પાલનપુર શહેરને આગામી ત્રણ દિવસ સુધી ધરોઈ ડેમનું પાણી નહીં મળે. શહેરને જોડતી મુખ્ય પાઈપલાઈનના શિફ્ટિંગ કામગીરીને કારણે 7 જાન્યુઆરી, બુધવારથી 9 જાન્યુઆરી, શુક્રવાર સુધી પાણી પુરવઠામાં કાપ મૂકવામાં આવ્યો છે. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ધરોઈ જૂથ યોજનાની મુખ્ય પાઈપલાઈનનું શિફ્ટિંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. રેલવે ક્રોસિંગને કારણે 914 એમ.એમ. વ્યાસની આ પાઈપલાઈન ખસેડવામાં આવી રહી છે. પાણીના કાપ દરમિયાન પાલનપુર નગરપાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેરના 50 બોરવેલમાંથી રાઉન્ડ ધ ક્લોક ટેન્કર દ્વારા નગરજનોને પાણી પહોંચાડવામાં આવશે. પાલિકા દ્વારા સંપમાં પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો હોવાથી પ્રથમ બે દિવસ દરમિયાન શહેરીજનોને કરકસરયુક્ત પાણીનો ઉપયોગ કરવા અપીલ કરાઈ છે. જોકે, ત્રીજા દિવસે, શુક્રવારે, પાણીની અસર વધુ વર્તાશે, જેના માટે પાલિકાએ અગાઉથી આયોજન કર્યું છે. નોંધનીય છે કે પાલનપુર શહેર મોટાભાગે ધરોઈ ડેમ આધારિત પાણી પુરવઠા પર નિર્ભર છે.
કચ્છના રાપરમાં 15 વર્ષીય માનસિક અસ્થિર સગીરાને લલચાવી ફોસલાવી બાવળોની ઝાડીમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. માતા પાસે લઈ જવાનું કહી સગીરાને યુવક વેરાન જગ્યામાં લઈ ગયો હતો જ્યાં તેણે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે રાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. રાપર શહેરમાં ખળભળાટ મચાવી દેનારી અને ભલભલાના કાળજા કંપાવી નાખે તેવી ઘટનામાં ભોગ બનનાર સગીરાને જ્યારે પૂછવામાં આવ્યું કે, તેની સાથે શું ઘટના બની છે? ત્યારે સગીરાએ રૂંવાટા ઉભા કરી દેતા શબ્દો કહ્યા હતા. સગીરાએ જણાવ્યું કે, મને પેટમાં દુખે છે અને છાતીમાં પણ દુખે છે એક છોકરાએ કઈક કર્યું છે. એણે મારા અને એના બન્નેના કપડા ઉતાર્યા હતા. મોટો છોકરો હતો હું તેને જોઈશ તો ઓળખી જઈશ. સગીરાને માતા પાસે લઈ જવાના બદલે બાવળોની ઝાડીમાં લઈ ગયોભોગ બનનાર સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે આ બનાવ 1 જાન્યુઆરીના સાંજે બન્યો હતો. એક વિસ્તારમાં રહેતી 15 વર્ષીય માનસિક દિવ્યાંગ સગીરા પોતાના નાના ભાઈ સાથે ઘર બહાર રમી રહી હતી. જ્યારે સગીરાની માતા અને પિતા કામ અર્થે બહાર ગયા હતા. ભોગ બનનાર સગીરાના પિતા કામ અર્થે બહાર રહે છે અને માતા પણ દિવસે મજૂરી કામ માટે બહાર જતા હોવાથી બાળકો ઘરે એકલા રહે છે. આ સમયે સાંજના અરસામાં આરોપી શિવા મોહન કોલી ત્યા આવ્યો હતો. સગીરાને ચાલ તારી માતા પાસે લઈ જાવ તેમ કહીને આરોપીએ સગીરાને બાવળોની ઝાડીમાં લઈ ગયો હતો. જ્યાં તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. માતા ઘરે આવતા દીકરી જોવા મળી ન હતીઆ દરમિયાન માતા ઘરે પરત આવતા દીકરી જોવા મળી ન હતી. જે અંગે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પુત્રએ જણાવ્યું હતું કે, શિવા કોલી ઘર પાસે બે ત્રણ વખત આંટા મારતો હતો. જેથી પુત્રની વાતના આધાર તપાસ કરી હતી. આ દરમિયાન બાવળની ઝાડીમાંથી સગીરા એકલી મળી આવી હતી. સગીરાને પ્રાથમિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબે પોલીસમાં જાણવા જોગ નોંધ દાખલ કરાવી હતી. જોકે, એફઆરઆઈ નોંધાઈ ન હતી. સારવાર કરાવ્યા બાદ રાપર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા પીડિતાની માતાનો ફરિયાદ દાખલ ન કરવાનો ઈનકાર્ય કર્યો હતો જેનો વીડિયો સામે આવ્યો હતો. અમે આશ્વાસન આપતા પીડિત પરિવારે ફરિયાદ નોંધાવીઃ રાધાબેન ચૌધરીકચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ રાધાબેન ચૌધરીએ જણાવ્યું કે, અમે દિવ્ય ભાસ્કરમાં રાપરમાં એક માનસીક દિવ્યાંગ સગીરા સાથે જાતીય શોષણ થયુ હોવાની ઘટનાના ન્યુઝ વાંચ્યા હતા. જે બાદ અમે રાપર પોલીસ સ્ટેશનમાં આવ્યાં હતા. જ્યાં PI સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે, અમારે ફરિયાદ તો કરવાની જ હતી પણ તે બહેન કેમ ફરિયાદ નથી કરતા? જેથી અમે પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી. ડરના કારણે પીડિત પરિવારે પહેલા ફરિયાદનું ટાળ્યું હતુંવધુમાં જણાવ્યું કે, કેમ ફરિયાદ કરતા નથી તે અંગે પીડિત પરિવાર સાથે વાત કરી. તો પીડિત પરિવારે કહ્યું કે, અમને થોડો ડર લાગે છે. ફરિયાદ કર્યા બાદ અમને પાછળથી કોઈ હેરાન પરેશાન કરે તો એનો ડરના કારણે અમે ફરિયાદ નથી નોંધાવતા. પણ એ બહેનને અમારી ટીમે આશ્વાસન આપતા પોલીસ સ્ટેશનમાં બાળકીને ન્યાય અપાવવા માટે ફરિયાદ નોંધાવી છે. ઘટનામાં છઠા દિવસે પોલીસ ફરિયાદ નોંધાઈ રાપર શહેરમાં ખળભળાટ મચાવી દેનારી અને ભલભલાના કાળજા કંપાવી નાખે તેવી ઘટનામાં છઠા દિવસે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ રાધાબેન ચૌધરી અને તેમની ટીમ દ્વારા પીડિત પરિવારની મુલાકાત લઈને તેમને સાંત્વના આપીને ફરિયાદ દાખલ કરવા પ્રોત્સાહન આપી ફરિયાદ દાખલ કરાવી હતી.
પોરબંદર શહેરની વી.આર. ગોઢાણીયા કોલેજમાં ટી.વાય.બી.એ.માં અભ્યાસ કરતી ફટાણા ગામની પાયલબેન દેવશીભાઈ સાદિયાએ સિક્કિમ રાજ્યના લારુમથગસે માઉન્ટ ખાતે યોજાયેલ માઉન્ટેનિયરિંગ બેઝિક કોર્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તેમણે આ કોર્સમાં A ગ્રેડ મેળવી આર્ટિફિશિયલ વોલ ક્લાઈમ્બિંગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને પોરબંદર જિલ્લા અને ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. આ કઠિન તાલીમ દરમિયાન, પાયલબેન સાદિયાએ માઈનસ 24 ડિગ્રી તાપમાન અને 16,700 ફૂટની ઊંચાઈ પર 27 કિલો વજન સાથે આર્ટિફિશિયલ વોલ ક્લાઈમ્બિંગમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. આ ઉપરાંત, તેમણે 4 કિલોમીટરની મેરેથોન દોડ માત્ર 23 મિનિટમાં પૂર્ણ કરી હતી, જેના પરિણામે તેમને A ગ્રેડ સાથે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાત રાજ્યમાંથી આ કોર્સ માટે માત્ર બે વિદ્યાર્થિનીઓની પસંદગી કરવામાં આવી હતી, જેમાં પાયલબેન સાદિયાનો સમાવેશ થતો હતો. અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતી પાયલબેને પોતાની મહેનત અને દ્રઢ નિશ્ચય દ્વારા સાદિયા પરિવાર, પોરબંદર જિલ્લો તેમજ સમગ્ર અનુસૂચિત સમાજનું નામ ઉજ્જવળ કર્યું છે. પાયલબેન સાદિયાની આ સિદ્ધિ બદલ ભીમ મહોત્સવ સમિતિ, પોરબંદર દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
ગુજરાતની પાવન ધરા પર આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવની ભૂમિ પર તા. 11 જાન્યુઆરીએ યોજાનાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ભવ્ય રોડ શો અને વિશાળ જનસભાને લઈને ગીર સોમનાથ જિલ્લો સંપૂર્ણ રીતે એક્શન મોડમાં આવી ગયો છે. વહીવટી તંત્રની સાથે સાથે ભાજપ સંગઠન દ્વારા પણ વ્યાપક સ્તરે આયોજન અને સંકલન શરૂ કરી દેવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સોમનાથ પહોંચ્યા હતા. વેરાવળ કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે તેમની અધ્યક્ષતામાં ભાજપના 300થી વધુ અપેક્ષિત આગેવાનો અને પદાધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. છ જિલ્લાઓના આગેવાનોની ઐતિહાસિક હાજરીઆ બેઠકમાં ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ, ભાવનગર, રાજકોટ અને પોરબંદર જિલ્લાઓના ભાજપના સાંસદો, ધારાસભ્યો, જિલ્લા તથા તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખો, મહાનગરપાલિકાના મેયરો તેમજ સંગઠનના અગ્રણી પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન પ્રધાનમંત્રીના કાર્યક્રમને સફળ બનાવવા માટે દરેક જિલ્લાને વિશેષ જવાબદારીઓ સોંપવામાં આવી. એક લાખથી વધુ જનમેદની એકત્ર કરવાનો લક્ષ્યાંકતા. 11ના રોજ યોજાનાર પ્રધાનમંત્રી મોદીના ભવ્ય રોડ શો અને જનસભામાં અંદાજે એક લાખથી વધુ જનમેદની એકત્ર કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ માટે તમામ જિલ્લાઓમાં પ્રચાર, વાહન વ્યવસ્થા, સ્વયંસેવકોની નિયુક્તિ તથા જનસંપર્ક અભિયાનને વધુ તીવ્ર બનાવવાની સૂચનાઓ આપવામાં આવી. સંગઠનાત્મક સંકલન પર ભારબેઠકમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, “સોમનાથમાં પ્રધાનમંત્રીનો કાર્યક્રમ માત્ર એક રાજકીય કાર્યક્રમ નહીં પરંતુ ગુજરાતના ગૌરવ અને સ્વાભિમાનનો ઉત્સવ છે. દરેક કાર્યકર આ કાર્યક્રમને ઐતિહાસિક બનાવવા માટે સમર્પિત ભાવથી કાર્ય કરે.” દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિઆ બેઠકમાં પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવે, રાજ્ય સરકારના મંત્રી જીતુ વઘાણી, અર્જુન મોઢવાડીયા, કૌશિક વેકરિયા સહિત અનેક દિગ્ગજ નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મળીને કાર્યક્રમની સફળતા માટે સંકલ્પ લીધો હતો. સોમનાથ બનશે સાક્ષીપ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આગમનને લઈને સોમનાથમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ સર્જાયો છે. સુરક્ષા, વ્યવસ્થા અને જનસુવિધાઓને લઈને વહીવટી તંત્ર પણ સંપૂર્ણ સતર્કતા સાથે કામ કરી રહ્યું છે. આવનારા દિવસોમાં સોમનાથ એક ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનશે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.
યુ.કે.ની વિશ્વવિખ્યાત ઓક્સફર્ડ યુનિવર્સિટીના સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝના ડાયરેક્ટર શૌનક ઋષિ દાસે 5 જાન્યુઆરી, 2026ના રોજ વિશ્વઉમિયાધામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વિશ્વઉમિયાધામ અને ઓક્સફર્ડ યુનિવર્સિટી વચ્ચે હિન્દુ સ્ટડીઝ સેન્ટર સ્થાપવાની સંભાવનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. મૂળ બ્રિટિશ હોવા છતાં હિન્દુ નામ ધારણ કરનાર શૌનક ઋષિ દાસે વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના નિર્માણાધીન મંદિરની મુલાકાત લીધી હતી અને શિલાપૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા અને પ્રમુખ આર.પી. પટેલના અધ્યક્ષસ્થાને ગ્લોબલ સારસ્વત પરિષદનું પણ આયોજન કરાયું હતું. આ પરિષદમાં શૌનક ઋષિ દાસ ઉપરાંત ગુજરાત સાહિત્ય પરિષદના અધ્યક્ષ સહિત ઉચ્ચ કક્ષાના શિક્ષણવિદો, લેખકો અને સારસ્વતો ઉપસ્થિત રહ્યા હતા. પરિષદમાં સનાતન ધર્મના વૈજ્ઞાનિક રિસર્ચ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. શૌનક ઋષિ દાસે પોતાના પ્રેરક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, સનાતન ધર્મ માત્ર ઉપાસનાની પદ્ધતિ નથી, પરંતુ માનવજીવનને સંતુલિત અને મૂલ્યનિષ્ઠ બનાવતી એક જીવનશૈલી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, આજના વૈશ્વિક અશાંતિના માહોલમાં હિન્દુ વિચારધારા સમગ્ર માનવજાત માટે માર્ગદર્શક બની શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતવર્ષ એ સંપૂર્ણ વિશ્વ માટે શાશ્વત આધ્યાત્મિક મૂલ્યોનું પ્રેરણાતીર્થ છે. તેમને શ્રદ્ધા છે કે વિશ્વ ઉમિયાધામ અને ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે મળીને સનાતન ધર્મના દિવ્ય મિશનને સાકાર કરી શકશે અને 'વસુધૈવ કુટુમ્બકમ્'નો આદર્શ સિદ્ધ કરશે. આ પ્રસંગે સંસ્થાના પ્રણેતા અને પ્રમુખ આર.પી. પટેલે પોતાના અધ્યક્ષીય ભાષણમાં હિન્દુત્વ પ્રત્યેની ઉદાસીનતા અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું કે, જે કામ હિન્દુઓએ કરવું જોઈએ તે એક અંગ્રેજ કરી રહ્યા છે અને શૌનક ઋષિ દાસના પ્રયત્નોને બિરદાવ્યા હતા. આર.પી. પટેલે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્રચેતના આધારિત પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. તેમણે સમાજમાં સંસ્કાર, સંસ્કૃતિ, રાષ્ટ્રભાવના અને આધ્યાત્મિક જાગૃતિ લાવવાના સંસ્થાના પ્રયાસોને સમયાનુસાર અને અનિવાર્ય ગણાવ્યા હતા. તેમણે ભારપૂર્વક કહ્યું કે, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્રો ભારતની આત્માને વિશ્વમંચ પર સ્થાપિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
શ્રી સ્વામિનારાયણ મંદિર, કુમકુમ, મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે નિરાશ થવું ન જોઈએ. સુખ અને દુઃખ એ સંસારનો ક્રમ છે. તેમણે કહ્યું કે, જીવનમાં મુશ્કેલીઓનું આગમન એ પાર્ટ ઓફ લાઇફ છે, પરંતુ તેમાંથી હસતા મુખે બહાર આવવું એ આર્ટ ઓફ લાઇફ છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ ભારતના શ્રેષ્ઠ કાર્ટૂનિસ્ટ આર. કે. લક્ષ્મણનું ઉદાહરણ આપ્યું. તેમણે જણાવ્યું કે, લક્ષ્મણના ચિત્રો શરૂઆતમાં ઘણી વખત નકારવામાં આવ્યા હતા. છતાં તેમણે હિંમત હારી નહીં અને સતત ચિત્રો દોરતા રહ્યા. આખરે તેઓ સફળ થયા અને વિશ્વભરમાં પ્રખ્યાત બન્યા. આ દર્શાવે છે કે જીવનમાં હિંમત અને પુરુષાર્થ અનિવાર્ય છે. જેમ કહેવાયું છે કે, કદમ અસ્થિર હોય એને, કદી રસ્તો જડતો નથી; અડગ મનના મુસાફિરને, હિમાલય પણ નડતો નથી. શ્રી સ્વામિનારાયણ ભગવાન પણ શિક્ષાપત્રી અને વચનામૃત જેવા ગ્રંથોમાં આ જ શીખવે છે કે, જીવનમાં હંમેશા મહેનત કરતા રહો અને ભગવાન પર વિશ્વાસ રાખશો તો સફળતા અવશ્ય મળશે.
રાજકોટ શહેરના મોરબી રોડ પર બેડી ગામે નાસ્તાની લારી ચલાવતા યુવાન ઉપર ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી માર માર્યાની ઘટનામાં 21 દિવસ બાદ 3 આરોપીઓની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સો પૈકી બે શખ્સો નાસ્તો કરવા ગયા ત્યારે ત્યાં ભીડ હોવાના કારણે થોડી વાર લાગશે કહેતા ઉશ્કેરાયેલા શખ્સોએ તેના ભાઈને બોલાવી યુવકને લોખંડના પાઇપ વડે માર મારી લારીમાં તોડફોડ કરી હતી જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. આજે પોલીસે ઘટના સ્થળ પર લઇ જઈ આરોપીઓનું રિકંસ્ટ્રકશન કરવામાં આવ્યું હતું જેમાં દોરડા વડે બાંધી સ્થળ પર લઇ જતા સમયે આરોપીઓ લંગડાતા નજરે પડ્યા હતા. રાજકોટના મોરબી રોડ પર ગત તારીખ 16 ડિસેમ્બરના રોજ નાસ્તાની લારી ચલાવતા યુવાન પર શ્યામ બાબુતર, કિશન શેરસીયા અને દેવશી બાબુતર દ્વારા લોખંડના પાઇપ વડે હુમલો કરી માર મારવામાં આવ્યો હતો અને લારીમાં તોડફોડ કરવામાં આવી હતી જે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી દરમિયાન ગઈકાલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા યુવકને માર મારનાર આરોપી શ્યામ બાબુતર, કિશન શેરસીયા અને દેવશી બાબુતરની ધરપકડ કરી આજ રોજ ઘટના સ્થળે આરોપીઓને લઇ જઈ દોરડા વડે બાંધી રિકંસ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું આ સમયે આરોપીઓ લંગડાતા નજરે પડ્યા હતા. વિપુલભાઈ રાણાભાઇ વડેચાએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું બેડી માર્કેટિંગ યાર્ડ નજીક વર્ષોથી નાસ્તાની લારી ચલાવી રહ્યા છે અને આરોપીઓ પણ તેમની ત્યાં અવારનવાર નાસ્તો કરવા પણ આવતા હતા દરમિયાન 16 તારીખના રોજ શ્યામ બાબુતર અને કિશન સરસીયા નાસ્તો કરવા આવ્યા હતા તેને આવીને પહેલા અમને નાસ્તો આપી દે કહી બોલાચાલી કરી હતી જેથી થોડી વાર લાગશે કહેતા ગાળો આપવાનું શરૂ કર્યું હતું જેથી સામે મેં પણ ગાળ આપી હતી અને થોડી વાર પછી દેવશી બાબુતર સાથે અન્ય બે લોકો જીજે.03.કેએચ.8191 નંબરની કાલા કાચ વાળી સફેદ ફોર્ચ્યુનર લઈને આવ્યા હતા અને બાદમાં શ્યામ, કિશન અને દેવશીએ લોખંડના પાઇપથી માર મારવાનું શરૂ કર્યું હતું જેથી ડાબા હાથમાં ફેક્ચર થઇ ગયું હતું. કુવાડવા પોલીસની કાર્યવાહી સામે આક્ષેપ કરતા ફરિયાદી વિપુલએ જણાવ્યું હતું કે, બનાવ બન્યો એ દિવસ હું ફરિયાદ કરવા માટે કુવાડવા પોલીસ સ્ટેશન ગયો હતો પરંતુ કુવાડવા પોલીસે મારી ફરિયાદમાં બનાવ મુજબ નહિ માત્ર ઢીંકા પાટુના માર માર્યાની ફરિયાદ લેવા કહ્યું હતું જેથી મેં ના પાડી કે મને લોખંડના પાઇપથી માર માર્યો છે જેના સીસીટીવી ફૂટેજ છે એ આધારે ફરિયાદ લો તો આમ છતાં છ કલાક બેસાડી રાખ્યો અને ફરિયાદ લીધી ન હતી બાદમાં ડીસીપી સાહેબને રૂબરૂ મળી રજુઆત કર્યા બાદ અમારી ફરિયાદ લેવામાં આવી હતી.
મોડાસા-શામળાજી હાઈવે પર મરડીયા સ્ટેશન પાસે મૂકવામાં આવેલા પોલીસ બેરિકેડ્સને કારણે ગંભીર ટ્રાફિક સમસ્યા અને જાહેર સલામતીને જોખમ ઊભું થયું છે. આ મુદ્દે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણ પટેલે જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે. મરડીયા વિસ્તાર સ્કૂલ ઝોન, કેનાલ, બસ સ્ટેશન અને ગ્રામ્ય માર્ગોના સંગમ સ્થળે આવેલો છે, જ્યાં સતત વાહન વ્યવહાર રહે છે. આવા સંવેદનશીલ વિસ્તારમાં અચાનક વાહન ચેકિંગ કરવાથી ટ્રાફિક જામ થાય છે, ભારે વાહનોને અચાનક બ્રેક લગાવવી પડે છે અને અકસ્માતની શક્યતા વધી જાય છે. આ પરિસ્થિતિ ખાસ કરીને સ્કૂલના બાળકો, વાલીઓ અને મુસાફરો માટે અત્યંત જોખમી બની છે. બેરિકેડ્સ બસ સ્ટેશનની જગ્યાએ મૂકવામાં આવ્યા હોવાથી બસો સ્ટેશન સુધી પહોંચી શકતી નથી. પરિણામે, બસો આશરે 200 મીટર દૂર ઊભી રહે છે અને મુસાફરોને ચાલીને જવું પડે છે, જેનાથી તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કોંગ્રેસ નેતા અરૂણ પટેલે જાહેર હિતને ધ્યાનમાં રાખીને મરડીયા સ્ટેશન પરથી બેરિકેડ્સ તાત્કાલિક દૂર કરવા માંગ કરી છે. તેમણે ચેકિંગ પોઈન્ટને સલામત વિકલ્પ સ્થળે ખસેડવા, ટ્રાફિક અને સ્કૂલ ઝોનનું સર્વેક્ષણ કરવા તેમજ ભવિષ્યમાં આવા જોખમવાળા સ્થળે વાહન ચેકિંગ ન કરવા પણ રજૂઆત કરી છે.
ગુજરાતમાં ભ્રષ્ટાચાર નિવારણ બ્યુરો (ACB) સામે તોડપાણીના ગંભીર આક્ષેપો સાથે એક પીડિત કર્મચારીનો નનામો પત્ર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાને મળતા રાજકીય અને વહીવટી વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. આ પત્રમાં પીડિત કર્મચારીએ પોતાની ઓળખ છુપાવીને જણાવ્યું છે કે તેઓ ગરીબ તથા અનુસૂચિત જાતિના પરિવારમાંથી આવે છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરે છે. ‘દુનિયા છોડવા જેવી સ્થિતિ સર્જાઈ’પત્ર અનુસાર, એસીબી દ્વારા ખોટી ફરિયાદ અને ખોટી તપાસના બહાને તેમને સતત ત્રાસ આપવામાં આવી રહ્યો છે અને તેમના પગારથી પણ વધારે રકમની માંગણી કરવામાં આવી રહી છે. આર્થિક અને માનસિક દબાણને કારણે તેમને ‘દુનિયા છોડવા જેવી સ્થિતિ સર્જાઈ’ હોવાનું પણ પત્રમાં વ્યથા સાથે ઉલ્લેખાયું છે. 'રૂબરૂ બોલાવીને ઉઘરાણી કરવાનું ષડયંત્ર'પીડિત કર્મચારીએ આક્ષેપ કર્યો છે કે એસીબી દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના અનેક કર્મચારીઓની માહિતી મેળવીને ખોટી તપાસ કરવામાં આવે છે અને રૂબરૂ બોલાવીને ઉઘરાણી કરવાનો ષડયંત્ર રચાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે હાલ પણ અનેક કર્મચારીઓ મહિને એસીબીના અધિકારીઓને ભરણ આપવા મજબૂર છે. આ પત્રમાં સીબીઆઈ દ્વારા તટસ્થ તપાસની માંગ કરી જણાવાયું છે કે જો નિષ્પક્ષ તપાસ નહીં થાય તો બ્લેકમેલિંગ અને તોડપાણીનો ધંધો યથાવત્ ચાલુ રહેશે. અંતમાં પત્ર લેખકે લખ્યું છે કે, 'હું આ દુનિયામાં રહું કે ના રહું, પરંતુ મને ન્યાય મળે એવી આશા છે.' ઈટાલિયાએ પત્રને સોશિયલ મીડિયામાં શેર કર્યોઆ મામલે AAPના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ આ નનામો પત્ર ફેસબુક પર શેર કરી પીડિત કર્મચારીને અપીલ કરી છે કે,'કોઈ અંતિમ પગલું ન ભરશો. તમારી ઓળખ અને સંપૂર્ણ વિગત મને મેસેજમાં મોકલો, હું તમને મદદ કરીશ.'
રાજકુમાર અપમૃત્યુ કેસમાં ગણેશ ગોંડલના કરાયેલા નાર્કો ટેસ્ટના રિપોર્ટમાં નવો વળાંક આવ્યો છે. 11મી ડીસેમ્બરે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની કામગીરી પૂર્ણ કરાયા બાદ આજે તપાસ અધિકારી દ્વારા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ગણેશ ગોંડલે રાજકુમાર જાટને માર માર્યાનો કે કાવતરું રચ્યાની વાતનો ઈન્કાર કરવામાં આવ્યો છે. નાર્કો ટેસ્ટ માટે ગણેશને 31 સવાલ પૂછવામાં આવ્યા હતા. હાઈકોર્ટેમાં આ કેસની વધુ સુનાવણી આગામી 15મી જાન્યુઆરીએ યોજાશે. સુરેન્દ્રનગર પોલીસે કરેલી તપાસનો રિપોર્ટ હાઈકોર્ટ સમક્ષ મૂકાયોઆજે સુરેન્દ્રનગર પોલીસે કરેલ તપાસ રીપોર્ટ કોર્ટ સમક્ષ મુકાયો હતો. જેમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે SP અને અન્ય અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ટેકનિકલ વસ્તુઓ ઉપર તપાસ કરાઈ છે. જેમાં CDR અને નાર્કો એનાલિસિસ, સાહેદોના નિવેદન વગેરેનો સમાવેશ થાય છે. નાર્કો એનાલિસિસ ટેસ્ટનો રીપોર્ટ ફરિયાદીના સમર્થનમાં નથી. નવી ટીમે તપાસ પૂર્ણ કરી દીધી છે. યોગ્ય કોર્ટ સમક્ષ રિપોર્ટ ફાઇલ કરાશે એટલે કે ટ્રાયલ કોર્ટ સમક્ષ રીપોર્ટ ફાઇલ કરવામાં આવશે. ત્રણ બાબતમાં તપાસ કરવાની હતી જેમાં એક મૃતકના ખોવાયેલાની ફરિયાદ ઉપર, એક NC કમ્પલેન ઉપર અને એક અકસ્માત મૃત્યુની ફરિયાદ ઉપર. તપાસ અધિકારીએ 05 બાબતો ધ્યાનમાં રાખી તપાસ કરી છે. અરજદારના વકીલે સુરેન્દ્રનગર પોલીસ દ્વારા ફેર તપાસના રિપોર્ટ માંગ્યા હતા. સરકારી વકીલે જણાવ્યું હતું કે ચાર્જશીટ અને રિપોર્ટ ટ્રાયલ કોર્ટ સમક્ષ ફાઇલ કરવાના છે. આ અકસ્માતનો કેસ છે, ચાર્જશીટ સાથે બધું ફાઇલ કરવામાં આવશે. મૃતકના પિતાને તમામ કાગળિયા અપાશે. તપાસના રેકર્ડના કાગળિયા વધારે હોવાથી અત્યારે કોર્ટ સમક્ષ મૂકી શકાયા નથી. 11 ઇસમોના નામ જાણવાજોગ ગોંડલ પોલીસ મથકે નોંધાયેલ અરજીમાં સામે આવ્યા છે. જેમાં પૂર્વ ધારાસભ્ય સાથે મારામારીની વાત છે. ગણેશ ગોંડલ નાર્કો ટેસ્ટમાં 31 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. કોઈને માર માર્યો હોવાનું કે કાવતરું કર્યું હોવાનો તેને ટેસ્ટમાં ઇનકાર કર્યો છે. NC, ખોવાવવાના અને અકસ્માતની ચાર્જશીટ ટ્રાયલ કોર્ટમાં ફાઇલ કરાશે. ફરિયાદીને રિપોર્ટ આપવામાં અપાશે. અરજદારના વકીલ દ્વારા નાર્કો ટેસ્ટ પર સવાલ ઉભો કરાયોઅરજદારના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે મૃતકના ગુદામાં અકસ્માતમાં ઇજા કેવી રીતે થાય ? તે 52 કિલોમીટર કેવી રીતે ચાલે ? સરકારી વકીલે જણાવ્યું હતું કે તે 22 CCTV ફૂટેજમાં એકલો દેખાય છે. અરજદારના વકીલે જણાવ્યું હતું કે તો તે કેવી રીતે CCTV માં તે અમુકમાં કપડાં પહેરેલ અને અમુકમાં નગ્ન દેખાય છે ? સરકારી વકીલે કહ્યું હતું કે તેને કપડા કોને આપ્યા તેની પણ તપાસ થશે. અરજદારના વકીલે નાર્કો એનાલિસીસ ટેસ્ટ ઉપર પ્રશ્નો સર્જ્યા કે સામે ચાલીને આરોપી કેમ ટેસ્ટ માટે તૈયાર થયા ? આરોપીને લિમિટેડ પ્રશ્નો પૂછાયા હતા. આઠ દિવસ બાદ મૃતકની બોડી કેવી રીતે મળી ?કેટલીય ખૂટતી કડીઓના જવાબ મેળવવાના બાકી છે. આ અંગે અરજદાર રિપોર્ટ મેળવીને તેનો અભ્યાસ કરશે. આ કેસમાં વધુ સુનવણી 15 જાન્યુઆરીએ રાખવામાં આવી છે. 5 ડિસેમ્બરે રાજકોટની કોર્ટે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી હતીગત 9 માર્ચે, 2025ના રોજ ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ(માતા ધારાસભ્ય) પર રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાનો તેના પિતા રતનલાલ જાટે આક્ષેપો કર્યા હતા. માર માર્યા બાદ રાજકુમાર જાટનો રાજકોટ અમદાવાદ હાઇવે પર તરઘડિયા નજીક ઓવરબ્રિજ પર મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં 5 ડિસેમ્બરે રાજકોટની કોર્ટે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી હતી. જેને પગલે હવે ગણેશ ગોંડલનો 11 ડિસેમ્બરે ગાંધીનગરમાં નાર્કો ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો. આ નાર્કો ટેસ્ટ માટે ગણેશ ગોંડલને ગાંધીનગર ખાતે આવેલી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી(FSL) ખાતે લાવીને 9 ડિસેમ્બરથી તેની મેડિકલ પ્રોસેસ શરૂ થઈ અને આજે 11 ડિસેમેબરના નાર્કો ટેસ્ટ પૂર્ણ કરાયો હતો. શું હતો સમગ્ર મામલો?મૂળ રાજસ્થાનના અને આશરે 30 વર્ષથી ગોંડલમાં ત્રણ ખૂણિયા પાસે શ્રીજી પાંઉભાજી નામની દુકાન ધરાવતા રતનભાઈ ચૌધરી (જાટ)નો પુત્ર રાજકુમાર જાટ 3 માર્ચે ઘરેથી ભેદી રીતે ગુમ થયો હતો. બે દિવસ સુધી રાજકુમાર ઘરે પરત ન આવતા 5 માર્ચના રોજ પિતા રતનકુમારે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસને અરજી પણ આપી હતી. આ સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. પિતાએ પોલીસમાં અરજી કરતા શહેરના બસ સ્ટેન્ડ સહિતનાં જાહેર સ્થળો ઉપર આ યુવક ગુમ થયો હોવાનાં પોસ્ટર લાગ્યાં હતાં. મૃતક રાજકુમાર UPSCની તૈયારી કરતો હતો. ઉલ્લેખનીય છે કે 4 માર્ચે રાત્રિના 3 વાગ્યા આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં તેનું મોત થયું હતું. 9 માર્ચે રાજકુમાર જાટના મૃતદેહની પરિવારજનોએ ઓળખ કરી હતી અને પીએમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો. અગાઉ હાઇકોર્ટે આ કેસમાં ઘટનાના CCTV જાળવવા અને તપાસનો સ્ટેટસ રિપોર્ટ આપવા હુકમ કર્યો હતો. અરજદારે કહ્યું હતું કે 24 વર્ષના યુવકની હત્યાને અકસ્માતમાં ખપાવવામાં આવી રહી છે. તેના પોસ્ટ મોર્ટમ રીપોર્ટમાં 42 ઈજાઓ સામે આવી છે. તેને લોખંડના સળીયા માર્યા છે અને ગુદામાં અંદર સળિયો નાખ્યો હોવાનું ઇજાનો રીપોર્ટ છે. અકસ્માત મૃત્યુમાં આવી ઇજાઓ જોવા મળી શકે નહીં. જેથી આ કેસની તપાસ CBI ને સોંપવામાં આવે. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે ઉપરથી નગ્ન હાલતમાં મૃતકની ડેડબોડી મળી હતી. જેને અકસ્માતમાં ખપાવાઈ રહ્યું છે. પોલીસ કહે છે કે આ કેસ હત્યાનો નહીં, પરંતુ આકસ્મિક મૃત્યુનો છે. સંપૂર્ણ પોસ્ટ મોર્ટમ રીપોર્ટ કોર્ટ સમક્ષ અરજદારના વકીલે વર્ણવ્યો હતો. અરજદારે વધુમાં જણાવ્યું હતું કે મૃતકના હાથ અને પગ ઉપર ચકામાંના નિશાન જોવા મળ્યા છે. જે અકસ્માતથી થાય નહીં તેને માર મરાયો હોવાનો આ પુરાવો છે. સરકારી વકીલે કહ્યું હતું કે પોલીસ તપાસ અનુસાર આકસ્મિક મૃત્યુનો કેસ છે. બસના ડ્રાઇવરથી અકસ્માત થયા બાદ તેને એક વ્યક્તિને ફોન કર્યો હતો કે તેનાથી અકસ્માત થયો છે. જેનો વોઇસ સ્પેક્ટોગ્રાફી રીપોર્ટ માટે FSL માં મોકલી આપવામાં આવ્યો છે. જ્યારે અરજદારના વકીલે કહ્યું હતું કે આરોપીઓએ પહેલા રાજકુમાર જાટની હત્યા કરી નાખી, ત્યારબાદ તેને અકસ્માત મૃત્યુમાં ખપાવવા આખી સ્ટોરી ઊભી કરવામાં આવી છે.
વડોદરાના નવનિર્મિત કોટંબી સ્ટેડિયમમાં આગામી 11મી જાન્યુઆરીના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ આંતરરાષ્ટ્રીય વન ડે મેચ રમાવા જઈ રહી છે, જેને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઐતિહાસિક મેચ માટે ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓનું વડોદરામાં આગમન શરૂ થઈ ગયું છે. જેમાં વિરાટ કોહલી, નીતીશ રેડ્ડી અને રોહિત રાણા જેવા દિગ્ગજ ખેલાડીઓનો સમાવેશ થાય છે. પોતાના મનપસંદ ક્રિકેટરોની એક ઝલક મેળવવા માટે વડોદરા એરપોર્ટ પર પ્રશંસકોની ભારે ભીડ ઉમટી પડી છે. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ખેલાડીઓ ટૂંક સમયમાં જ એરપોર્ટની બહાર આવશે, જેને પગલે સમગ્ર શહેરમાં ક્રિકેટનો ફિવર છવાયો છે.

27 C