ચીખલી પોલીસે નેશનલ હાઇવે નંબર 48 પરથી રૂ. 5.09 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે કાર્યવાહી કરતા પોલીસે એક સ્વિફ્ટ કારમાંથી 672 નંગ દારૂની બોટલો જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે. આ પ્રકરણમાં કાર ચાલક સહિત ત્રણ વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ચીખલી પોલીસ સ્ટેશનના PSI એફ.એચ. પટેલ અને તેમની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ અને કોન્સ્ટેબલ અલ્પેશભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે, નેશનલ હાઇવે નંબર 48 પરથી દારૂનો મોટો જથ્થો પસાર થવાનો છે. આ બાતમીના આધારે પોલીસે બલવાડા ગામના ઓવરબ્રીજ પાસે નાકાબંધી ગોઠવી હતી. પોલીસની તપાસ દરમિયાન એક સફેદ રંગની મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર (નંબર GJ-15-CB-7291) શંકાસ્પદ જણાતા તેને રોકવામાં આવી હતી. કારની તપાસ કરતા જાણવા મળ્યું કે તેનું સાચું રજીસ્ટ્રેશન નંબર GJ-15-CD-7913 હતો, જે ગુનાહિત પ્રવૃત્તિ છુપાવવા માટે બદલવામાં આવ્યો હતો. કારની તલાશી લેતા તેમાંથી 16 પૂંઠાના બોક્સમાં છુપાવેલી વ્હીસ્કી, બીયર અને વોડકાની કુલ 672 બોટલો મળી આવી હતી. પોલીસે કુલ રૂ. 5,09,920નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં રૂ. 1,99,920ની કિંમતનો દારૂનો જથ્થો (672 બોટલ), રૂ. 3,00,000ની સ્વિફ્ટ કાર અને રૂ. 10,000નો મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. ઘટનાસ્થળેથી દમણના રહેવાસી વિશાલ રાજુભાઇ હળપતિની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં તેણે જણાવ્યું કે આ દારૂનો જથ્થો દમણથી ભરાવીને ગણદેવી પહોંચાડવાનો હતો. પોલીસે દારૂ ભરાવી આપનાર રાહુલ ગુલાબભાઇ હળપતિ (દમણ), દારૂ મંગાવનાર રઘુ (ગણદેવી) અને ફરાર કાર ચાલક કેતન ઉર્ફે કેતુ હળપતિને વોન્ટેડ જાહેર કર્યા છે. ચીખલી પોલીસે આ મામલે પ્રોહીબિશન એક્ટ, ભારતીય ન્યાય સંહિતા (BNS) અને એમ.વી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમરેલી જિલ્લાના દામનગરમાં એક રાજકીય કાર્યક્રમ દરમિયાન ભાજપના શહેર મહામંત્રી પ્રકાશ તજા પર જીવલેણ હુમલો થયો હતો. આ ઘટના લાઠી તાલુકાના દામનગરમાં ઠાસા રોડ પર બ્રિજના ખાતમુહૂર્ત કાર્યક્રમ વખતે બની હતી, જ્યાં ભાજપના ધારાસભ્ય જનક તળાવિયા પણ હાજર હતા. હુમલાને કારણે કાર્યક્રમ સ્થળે અફરાતફરી મચી ગઈ હતી. ઘાતક હથિયાર વડે થયેલા આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પ્રકાશ તજાને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ હુમલામાં હીરાભાઈ નવાપરા નામના વ્યક્તિનું નામ સામે આવ્યું છે, જેઓ જિલ્લા મધ્ય સહકારી બેંકના ડિરેક્ટર અને ભાજપના કાર્યકર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ દામનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અમરેલી જિલ્લાના પોલીસ વડા સંજય ખરાત સમગ્ર ઘટના પર સતત નજર રાખી રહ્યા છે. ધારાસભ્ય જનક તળાવિયાએ જણાવ્યું કે દામનગરમાં બ્રિજના ખાતમુહૂર્ત દરમિયાન મહામંત્રી પ્રકાશ તજા પર જિલ્લા મધ્ય સહકારી બેંકના ડિરેક્ટર હીરાભાઈ નવાપરા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે પુષ્ટિ કરી કે પ્રકાશ તજાને સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અમરેલીના ડીવાયએસપી ચિરાગ દેસાઈએ પણ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે દામનગર પોલીસના પીઆઈ સ્થળ પર પહોંચી તપાસ કરી રહ્યા છે અને પોલીસ કાર્યવાહી ચાલુ છે. આ સમાચારને અપડેટ કરી રહ્યા છીએ..
વલસાડ LCBએ વિદેશી દારૂ, કાર સાથે એકને ઝડપ્યો:₹12.76 લાખનો મુદ્દામાલ જપ્ત, સુરત સપ્લાયનો પર્દાફાશ
વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત કાર્યવાહી કરતા એક લક્ઝરી કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કાર ચાલકને ઝડપી પાડી દારૂ, મોબાઈલ અને કાર સહિત કુલ ₹12.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દારૂનો જથ્થો સુરતમાં સપ્લાય થવાનો હતો. LCBની ટીમ જિલ્લાભરમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે, કાળા રંગની ટાટા હેરિયર કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે, પોલીસે વલસાડ તાલુકાના નંદાવલા ગામ પાસે સાઈચરણ હોટલથી આશરે 100 મીટર આગળ સર્વિસ રોડ પર વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન, GJ-15-CM-8118 નંબરની ટાટા હેરિયર કાર આવતા પોલીસે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી. કારની તલાશી લેતા અંદરથી વ્હીસ્કી, વોડકા અને બિયર સહિત કુલ 264 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાં આશરે ₹2,71,000ની કિંમતનો વિદેશી દારૂ, આશરે ₹10,00,000ની કિંમતની ટાટા હેરિયર કાર અને આશરે ₹5,000ની કિંમતનો મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. આમ, પોલીસે કુલ ₹12,76,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસે જામનગરના 28 વર્ષીય રવિ ભીમાભાઈ ગોઢેરિયાને ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી આ દારૂનો જથ્થો સુરતમાં સપ્લાય કરવા માટે લઈ જઈ રહ્યો હતો. આ કેસમાં દારૂ સપ્લાય કરનાર તરીકે જયેશલાલ જસવંતલાલ ભુવાનું નામ સામે આવ્યું છે, જે હાલ ફરાર છે. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા તેમજ દારૂના સ્ત્રોત સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ પોસ્ટલ રીજીયન દ્વારા આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. પોસ્ટમાસ્ટર જનરલ પવન કુમાર દાલમિયાની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં ટપાલ વિભાગમાં કાર્યરત મહિલાઓના અમૂલ્ય યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. પોસ્ટમાસ્ટર જનરલની કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલા આ સમારોહમાં નારી શક્તિના વિવિધ પાસાઓ અને તેમની સિદ્ધિઓની ઝલક જોવા મળી હતી. પ્રેરણાદાયી પ્રારંભ અને સ્વાગત પ્રવચનકાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનોના ભાવભર્યા સ્વાગત સાથે કરવામાં આવી હતી. સહાયક નિયામક (ADPS-II) પાયલ મહેતાએ પ્રાસંગિક પ્રવચન દ્વારા ઉપસ્થિત સૌનું અભિવાદન કર્યું હતું અને મહિલા દિવસના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મહિલાઓ આજે દરેક જવાબદારી પૂરી નિષ્ઠાથી નિભાવી રહી છે. મહિલા ટપાલીઓનું સન્માન અને સ્પેશિયલ કેન્સલેશનનું વિમોચનઆ સમારોહના મુખ્ય આકર્ષણમાં ટપાલ વિભાગમાં ફિલ્ડ પર જઈને સેવા આપતી મહિલા ટપાલીઓ (Postwomen) અને અન્ય મહિલા કર્મચારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેમની ફરજ પ્રત્યેની સમર્પણ ભાવનાને ઉપસ્થિત મેદનીએ વધાવી લીધી હતી. આ ઉપરાંત, મહિલા દિવસ નિમિત્તે આયોજિત વિવિધ રમતગમત સ્પર્ધાઓના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ખાસ દિવસની સ્મૃતિને ચિરંજીવી બનાવવા માટે એક ‘સ્પેશિયલ કેન્સલેશન’નું પણ વિમોચન કરવામાં આવ્યું હતું, જે ટપાલ વિભાગની પરંપરામાં એક નવું સોપાન છે. સફળ મહિલા સાહસિકો અને ખેલાડીઓનું માર્ગદર્શનકાર્યક્રમના મુખ્ય મહેમાન અને 'જ્યોતિર્મય ઓવરસીઝ'ના સ્થાપક મીનાબેન પટેલે મહિલાઓને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે, આજના યુગમાં મહિલાઓએ પોતાની ક્ષમતા પર વિશ્વાસ રાખી દરેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા મેળવવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત પર્વતારોહક પૂજાબેન જોષી, સાયકલિસ્ટ આરતીબેન ચાપાણી અને શિક્ષિકા તેજલબેન મહેતાએ પોતાના જીવનના સંઘર્ષ અને સફળતાના અનુભવો રજૂ કર્યા હતા. રમતગમત અને શિક્ષણ ક્ષેત્રે તેમણે સ્થાપેલા માપદંડોએ ઉપસ્થિત તમામ મહિલા કર્મચારીઓમાં નવો ઉત્સાહ જગાવ્યો હતો. પોસ્ટમાસ્ટર જનરલનો સંદેશ: સશક્તિકરણ માટે કટિબદ્ધતાપોસ્ટમાસ્ટર જનરલ પવન કુમાર દાલમિયાએ તેમના ઉદબોધનમાં ટપાલ સેવાઓને આધુનિક અને મજબૂત બનાવવામાં મહિલા કર્મચારીઓના ફાળાની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજકોટ પોસ્ટલ રીજીયન અને સમગ્ર ટપાલ વિભાગ મહિલા સશક્તિકરણ માટે હંમેશા કટિબદ્ધ છે અને કાર્યસ્થળ પર તેમને શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડવા માટે સતત કાર્યરત રહેશે. આભાર વિધિ સાથે સમાપનસમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને અંતે આભાર વિધિ ઓફિસ આસિસ્ટન્ટ દિવ્યાબા ગોહિલ દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માત્ર એક ઉજવણી બનીને ન રહેતા, સમાજ અને વહીવટી તંત્રમાં મહિલાઓની વધતી જતી ભૂમિકાનું પ્રતીક બની રહ્યો હતો.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પવિત્ર અવસરે વડોદરા શહેરના ન્યુ VIP રોડ વિસ્તારમાં આવેલી શિવમ હોમ્સ અને વૈકુંઠ 2 સોસાયટીની મહિલાઓએ પોતાની રોજિંદી પરેશાનીઓને લઈને ગંભીર રજૂઆત કરી હતી. કોંગ્રેસનો આક્ષેપ છે કે, આ વોર્ડમાં ભાજપના કોર્પોરેટરો અને રાજ્ય સરકારના મંત્રી હોવા છતાં મહિલાઓ જંગલી ભુંડ, મચ્છરોના ઉપદ્રવ અને ગંદા પાણીની સમસ્યાથી ભારે પરેશાન છે. સ્થાનિક મહિલાઓએ આજે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીને બોલાવ્યા હતા અને તેમની સમક્ષ પોતાની રજૂઆત કરી હતી. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, ફ્લડ દરમિયાન કોમન પ્લોટની બાઉન્ડરી વોલ તૂટી ગઈ હતી, જેની મરામત આજદિન સુધી થઈ નથી. આ કારણે જંગલી ભુંડો સોસાયટીમાં ઘૂસી રહ્યા છે, જેનાથી બાળકો અને વૃદ્ધો સહિત સૌની સુરક્ષા જોખમમાં મુકાઈ છે. આ ઉપરાંત, વરસાદી પાણીની ડ્રેનેજ કેનાલમાં સતત ગંદું પાણી ભરાયેલું રહે છે, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને દુર્ગંધથી આરોગ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓ ઉભી થઈ રહી છે. મહિલાઓએ આ મુખ્ય પ્રશ્નો ઉઠાવ્યા છે - કોમન પ્લોટની મજબૂત બાઉન્ડરી વોલ ક્યારે બનાવવામાં આવશે ?- સોસાયટીમાં CCTV કેમેરા અને સ્ટ્રીટ લાઇટ ક્યારે લગાવવામાં આવશે ?- ડ્રેનેજની યોગ્ય સફાઈ તેમજ લેન્ડ એરોઝનનું રિસ્ટોરેશન ક્યારે થશે ? આ સાથે તેઓએ એ પણ પ્રશ્ન ઉઠાવ્યો છે કે શા માટે દરેક નાની-મોટી સમસ્યા માટે રહેવાસીઓએ રાજકીય નેતાઓ સુધી પહોંચવું પડે છે ? મ્યુનિસિપલ તંત્ર અને સ્થાનિક કોર્પોરેટર પોતે લોકો સુધી કેમ નથી પહોંચતા ? શિક્ષિત અને નિયમિત ટેક્સ ભરતા નાગરિકોને ભુંડ, મચ્છર અને ગંદકી વચ્ચે જીવવું પડે તે દુર્ભાગ્યપૂર્ણ છે એમ કહીને મહિલાઓએ અધિકારીઓને સંદેશ આપ્યો છે કે, લોકોની સમસ્યાઓને ગંભીરતાથી લો. અમે તમને પસંદ કર્યા છે, હવે અમારી સમસ્યાઓનું નિરાકરણ લાવો. રહેવાસીઓએ ચેતવણી આપી છે કે, જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તેઓ વધુ મોટા આંદોલન માટે મજબૂર બનશે.
ગુજરાત ઠાકોર ક્ષત્રિય સમાજ દ્વારા કલોલ ખાતે આયોજિત 35મા સમૂહ લગ્નોત્સવમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી નવદંપતીઓને સુખી જીવનના આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે તેમણે સામાજિક સમરસતા અને પારિવારિક મૂલ્યો પર ભાર મુકતા એક અત્યંત સંવેદનશીલ અપીલ કરી હતી. તેમણે દીકરાઓની માતાઓને સંબોધતા જણાવ્યું હતું કે, આજે લગ્ન બાદ ઘરે પધારેલી 'વહુ'ને પોતાની દીકરી માનીને આદર અને પ્રેમ આપજો. આ વિધાન દ્વારા તેમણે સમાજમાં સ્ત્રીઓના સન્માન અને સુદ્રઢ કૌટુંબિક માળખાનો સંદેશ આપ્યો હતો. સરકાર અને ઠાકોર સમાજ વચ્ચેનો અતૂટ નાતોકાર્યક્રમ દરમિયાન સંબોધન કરતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ઠાકોર સમાજ અને રાજ્ય સરકાર વચ્ચે હૃદયપૂર્વકનો અતૂટ સંબંધ છે. તેમણે ઉમેર્યું કે ઠાકોર સમાજના યુવાનોનો સર્વાંગી વિકાસ અને મજબૂત નેતૃત્વ પૂરું પાડવું એ સરકારનું મુખ્ય લક્ષ્ય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમયથી શરૂ થયેલી વિકાસયાત્રા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં 'રોકેટ ગતિએ' આગળ વધી રહી છે, જેમાં સમાજનો સહયોગ અને આશીર્વાદ પાયામાં છે. યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા આહ્વાનમંત્રીએ સરકારની ફ્લેગશિપ યોજનાઓ જેવી કે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી આવાસ યોજના અને કિસાન સન્માન નિધિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભાવુક સ્વરે કહ્યું કે, ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ગંભીર બીમારીના સમયે આર્થિક મદદ મળે તેવા કાર્યો પહેલા માત્ર સપના સમાન હતા, જે આજે વાસ્તવિકતા બન્યા છે. તેમણે સમાજના અગ્રણીઓને ટકોર કરી હતી કે છેવાડાનો કોઈ પણ પરિવાર માહિતીના અભાવે આ યોજનાઓથી વંચિત ન રહી જાય તેની જવાબદારી તેમણે ઉપાડવી જોઈએ. સામાજિક પરિવર્તન અને શિક્ષણ પર ભારઆ પ્રસંગે ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર અને લક્ષ્મણજી ઠાકોરના પ્રયાસોથી સમાજ માટે નિર્માણ પામનાર શૈક્ષણિક ભવન અંગે હર્ષ સંઘવીએ ખુશી વ્યક્ત કરી હતી. શિક્ષણને પ્રગતિની ચાવી ગણાવી તેમણે ઉપસ્થિત જનમેદનીને સામાજિક દૂષણો ત્યજવા અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે સરકારના સહયોગી બનવા સંકલ્પ લેવડાવ્યા હતા. મહાનુભાવોની ઉપસ્થિતિઆ ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર, કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ, મુખ્ય યજમાન કાંતિજી ઠાકોર સહિત સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ મહાનુભાવોએ નવજીવનની શરૂઆત કરી રહેલા જોડાઓને સુખી લગ્નજીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.
ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T-20 વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાવા જઈ રહી છે. મેચ પહેલા હોટલ તાજમાં ઉતરેલી ટીમ ઈન્ડિયાના સભ્યો અને ICCના ચેરમેન જય શાહે હોટલ પરિસરમાં આવેલા મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. ટીમ ઈન્ડિયાના સભ્યો હોટલ તાજ સ્કાયલાઈનમાં ઉતર્યા છે. ભૂતકાળમાં અહીં ઉતરેલી ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની ટીમનો વિજય થયો હોય આજે ટીમ ઈન્ડિયાનો વિજય થવાની આશા વ્યકત કરવામાં આવી રહી છે. જય શાહ અને ટીમ ઈન્ડિયાએ હોટલના મંદિરમાં પૂજા કરીઆજે સવારે મંદીરના પ્રાંગણમાં આવેલા શંકર ભગવાનના મંદિરમાં આઈસીસીના ચેરમેન જય શાહ તેમજ ભારતીય ટીમના કેપ્ટન સહીતના તમામ ખેલાડીઓએ ભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. તેમજ ભોળેનાથના આશીર્વાદ લીધા હતા. આજે ટીમ ઈન્ડિયાના વિજયની આશા- ડો. કૈલાશ ગોએલઆ અંગે તાજ સ્કાઈલાઈન-સંકલ્પના માલીક ડો.કૈલાશ ગોએલ જણાવે છે કે, આ અગાઉ પણ તાજમા ઉતરેલી ઓસ્ટ્રેલીયાની અને સાઉથ આફ્રિકાની ટીમ મેચ જીતી ગઈ હતી.આ વખતે અમને પણ દ્રઢ વિશ્વાસ છે કે, અમારી હોટેલમાં ઉતરેલી ભારતીય ટીમ એક નવો ઈતિહાસ રચી દેશે.ભારતને આ મેચમાં વિજય મળશે તે પ્રકારના સંકેતો પણ મળી રહ્યા છે. મંદીરની ઉર્જા અને ભોળેનાથના આશીવાર્દથી ટીમ ઈન્ડિયા કપ ઘરે લાવશે એવી અમને આશા છે. આજની મોટી મેચ માટે ટીમ ઈન્ડિયાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે.
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રોજડ ગામ પાસે આજે એક ચાલુ કારમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા ભારે અફરાતફરી સર્જાઈ હતી. CNG રિફિલિંગ સ્ટેશન નજીક બનેલી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કારને મોટું નુકસાન પહોંચ્યું છે. ઘટનાની વિગત મળતી માહિતી મુજબ, એક કાર ચાલક પોતાની ગાડીમાં ગેસ ભરાવવા માટે રોજડ સ્થિત CNG સ્ટેશન તરફ જઈ રહ્યો હતો. સ્ટેશનની બહાર પહોંચતા જ કારના બોનેટમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા. કાર ચાલક કંઈ સમજે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તાત્કાલિક કામગીરી આગ લાગતા જ આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે, CNG સ્ટેશનના કર્મચારીઓએ સમયસૂચકતા વાપરી ત્વરિત કામગીરી હાથ ધરી હતી. કર્મચારીઓએ સ્ટેશન પર ઉપલબ્ધ ફાયર એક્સટિંગ્યુઇશરનો ઉપયોગ કરી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે આગ વધુ ફેલાતી અટકી હતી. શોર્ટ સર્કિટ કારણભૂત હોવાનું અનુમાન પ્રાથમિક તપાસ અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કારમાં આગ લાગવાનું મુખ્ય કારણ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે. ગેસ સ્ટેશનની બિલકુલ નજીક આગ લાગી હોવાથી મોટી દુર્ઘટનાનો ભય સર્જાયો હતો, પરંતુ સમયસરની કામગીરીને પગલે મોટી હોનારત ટળી હતી.
ભરૂચ જેલમાં મહિલા કેદીઓ માટે મેડિકલ કેમ્પ:આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આયોજન કરાયું
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રવિવારે ભરૂચ જિલ્લા જેલ ખાતે મહિલા કેદીઓ માટે વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ તથા પ્રયાસ સંસ્થા, ભરૂચના સહયોગથી યોજાયો હતો, જેમાં મહિલા કેદીઓના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. કેમ્પ દરમિયાન સિવિલ હોસ્પિટલ ભરૂચના નિષ્ણાત સાયકિયાટ્રિસ્ટ ડો. સચી દેસાઈ અને ગાયનેકોલોજિસ્ટ ડો. રૂહીમા શેખ દ્વારા મહિલા કેદીઓની આરોગ્ય તપાસ કરાઈ હતી. તબીબોએ મહિલા કેદીઓને માનસિક સ્વાસ્થ્ય તેમજ સ્ત્રીરોગ સંબંધિત સમસ્યાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું અને જરૂરી સારવાર તથા સલાહ પણ આપી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલા કેદીઓમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવાનો અને તેમના શારીરિક તથા માનસિક સ્વાસ્થ્યની સંભાળ અંગે જાગૃત કરવાનો હતો. આ પ્રસંગે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભરૂચના સેક્રેટરી પી.પી. મોકાશી, પ્રયાસ સંસ્થા તરફથી દિવ્યા પરમાર તથા જેલ અધિક્ષક એન.પી. રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મહિલા કેદીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રયાસ સંસ્થા, ભરૂચ દ્વારા મહિલા કેદીઓને પુષ્પ અને પુસ્તકોની ભેટ આપીને આ કાર્યક્રમને વધુ અર્થપૂર્ણ બનાવવામાં આવ્યો હતો.
વડોદરા સ્થિત આઈટીઆઈ તરસાલી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સંસ્થામાં અભ્યાસ કરતી યુવતીઓ માટે વિવિધ સર્જનાત્મક સ્પર્ધાઓનું આયોજન કરી તેમના કૌશલ્યને યોગ્ય મંચ પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા તાલીમાર્થિનીઓને પ્રોત્સાહિત કરી તેમના આત્મવિશ્વાસમાં વધારો કરવાનો હતો. વિવિધ સ્પર્ધાઓમાં કૌશલ્યનું પ્રદર્શનસંસ્થામાં ચાલતા કોપા, વેબ ડિઝાઇનિંગ, ડેસ્કટોપ પબ્લિશિંગ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર, ફેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી અને કોસ્મેટોલોજી જેવા ટેકનિકલ કોર્સની દીકરીઓએ આ ઉજવણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વકૃત્વ સ્પર્ધામાં તાલીમાર્થિનીઓએ ‘મહિલા સશક્તિકરણ’ જેવા ગંભીર વિષયો પર પોતાના ધારદાર વિચારો રજૂ કર્યા હતા. આ ઉપરાંત સિંગિંગ અને ડાન્સ સ્પર્ધામાં પણ વિદ્યાર્થીનીઓએ પોતાની કળા રજૂ કરી વાતાવરણને જીવંત બનાવી દીધું હતું. ફેશન શો અને સર્જનાત્મકતાનું આકર્ષણકાર્યક્રમનું મુખ્ય આકર્ષણ 'સ્ટાઈલ એન્ડ સાઈન' ફેશન શો રહ્યો હતો. જેમાં ફેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી વિભાગની તાલીમાર્થિનીઓએ પોતે તૈયાર કરેલા આધુનિક અને પરંપરાગત ડિઝાઈનર વસ્ત્રો પહેરી રેમ્પ વોક કર્યું હતું. તો બીજી તરફ, કોસ્મેટોલોજી વિભાગની યુવતીઓએ અદભૂત મેકઅપ અને હેર સ્ટાઇલ દ્વારા પોતાની વ્યાવસાયિક આવડતનું પ્રદર્શન કર્યું હતું. શ્રેષ્ઠ દેખાવ કરનારનું સન્માનસ્પર્ધાઓના અંતે વિજેતા બનેલી પ્રથમ અને દ્વિતીય ક્રમની તાલીમાર્થિનીઓને પુરસ્કાર આપી નવાજવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાની મહિલા કર્મચારીઓએ સુપેરે પાર પાડ્યું હતું. આ પ્રસંગે ક્લાસ-1 આચાર્ય એ. આર. શાસ્ત્રી, ક્લાસ-2 આચાર્ય વાય. વી. પટેલ તથા ફોરમેન સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ દીકરીઓને જીવનના દરેક ક્ષેત્રમાં નીડરતાથી આગળ વધી પ્રગતિ કરવા માટે પ્રેરણા આપી હતી.
કચ્છથી રાજકોટ તરફ કતલખાને લઈ જવાતા 17 પાડાને મોરબીના ગૌરક્ષકો અને પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી દલવાડી ચોકડી પાસેથી બચાવી લીધા છે. આ મામલે પોલીસે એક શખ્સની ધરપકડ કરી વાહન સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચોક્કસ બાતમીના આધારે વોચમોરબી ગૌરક્ષક દળ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ યુવા વાહિની અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદની ટીમને બાતમી મળી હતી કે, કચ્છથી માળિયા થઈ મોરબી તરફ એક શંકાસ્પદ વાહનમાં પશુઓને ક્રૂરતાપૂર્વક બાંધીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. આ બાતમીના આધારે ગૌરક્ષકોની ટીમે મોરબી બાયપાસ રોડ પર આવેલા દલવાડી સર્કલ નજીક વોચ ગોઠવી હતી. પોલીસની હાજરીમાં તપાસ અને ખુલાસોબાતમી મુજબની અશોક બડા દોસ્ત ગાડી (નંબર GJ 36 V 3801) ત્યાંથી પસાર થતા તેને રોકવામાં આવી હતી. પોલીસની હાજરીમાં વાહનની તપાસ કરતા તેમાંથી અત્યંત ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં 17 પાડા મળી આવ્યા હતા. વાહન ચાલક પાસે પશુઓના પરિવહન માટેની કોઈ પણ પ્રકારની પરમિટ કે આધાર પુરાવા નહોતા. પાયલોટિંગ નેટવર્કનો પર્દાફાશપકડાયેલા ચાલકની પૂછપરછમાં સામે આવ્યું કે આ પશુઓ કચ્છથી રાજકોટના ભાવિન પટેલને ત્યાં લઈ જવાતા હતા. આ ગેરકાયદે હેરફેરમાં અન્ય બે ગાડીઓ પાયલોટિંગ કરી રહી હતી: ભાવિન પટેલ: સફેદ ટોયોટા ઇટિયોસ કાર (નંબર GJ 3 EL 2506)માં પાયલોટિંગ કરતો હતો. અરમાન અને આશિફ (રહે. રાજકોટ): મારુતિ સુઝુકી બ્રેઝા કારમાં સાથે હતા. પોલીસ કાર્યવાહીપશુઓને કતલના ઇરાદે લઈ જવામાં આવતા હોવાનું સ્પષ્ટ થતા પોલીસે હાલમાં એક શખ્સની ધરપકડ કરી છે. મોરબી 'એ' ડિવિઝન પોલીસે વાહન અને અબોલ જીવો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર કામગીરી અંગેની માહિતી મોરબીના કમલેશ બોરિચા દ્વારા આપવામાં આવી છે. પોલીસ હાલ અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે વધુ તપાસ ચલાવી રહી છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2026 નિમિત્તે, સેન્ટર ફોર પોલીસ ટેકનોલોજી (CPT) એ દેશભરમાંથી 33 ઉત્કૃષ્ટ મહિલા સાયબર પોલીસ અધિકારીઓને સન્માનિત કરવાની જાહેરાત કરી છે. આ મહિલા પોલીસ અધિકારીઓને ભારતના સાયબર પોલીસિંગ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં તેમના અસાધારણ યોગદાન બદલ સન્માનિત કરવામાં આવી રહ્યા છે. જેમાં સુરતના મહિલા સાયબર પોલીસ અધિકારી ડીસીપી બિશાખા જૈનનો સમાવેશ થાય છે. આ અધિકારીઓને સાયબર ક્રાઇમ તપાસ, નિવારણ અને શોધ, ડિજિટલ ફોરેન્સિક્સ, સાયબર તાલીમ પહેલ, સાયબર લેબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને લોકોમાં સાયબર ગુના પ્રત્યે જાગૃતિ ફેલાવવા જેવા ક્ષેત્રોમાં તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે સન્માનિત કરવામાં આવી રહ્યા છે. ડિજિટલ યુગમાં સતત વધી રહેલા સાયબર ક્રાઇમ વચ્ચે, આ અધિકારીઓએ જમીન પર કામ કરીને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. બિશાખા જૈન માટે સિવિલ સર્વિસની પરીક્ષાની સફર પડકારરૂપ રહીબિશાખા જૈનને નાણાકીય ટ્રેઇલ વિશ્લેષણ, સાયબર-ઇન્ટેલિજન્સ સંકલન અને મ્યુલ એકાઉન્ટ મોનિટરિંગ દ્વારા સાયબર છેતરપિંડીની તપાસનું આયોજન કરવાને લઈને સન્માન કરમ આવ્યું છે અને દેશની 33 ઉત્કૃષ્ટ મહિલા સાયબર પોલીસ અધિકારીઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે. નિષ્ફળતાને સફળતામાં પરિવર્તિત કરનારા સુરત સાયબર સેલના DCP CA બિશાખા જૈન માટે સિવિલ સર્વિસની પરીક્ષાની સફર પડકારરૂપ રહી શૈક્ષણિક સિદ્ધિઓ મેળવનાર DCP માટે માર્ગ સરળ ન્હોતોબિહારમાં જન્મેલા અને વાપીના આધુનિક તેમજ શિક્ષિત મારવાડી જૈન પરિવારમાં ઉછરેલા બિશાખા જૈન શરૂઆતથી જ અભ્યાસમાં તેજસ્વી હતા. ધો.12માં CBSE સ્ટેટ ટૉપર અને પ્રથમ પ્રયત્ને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ(CA)ની ડિગ્રી જેવી શૈક્ષણિક સિદ્ધિઓ મેળવનાર બિશાખા માટે UPSCનો માર્ગ સરળ ન્હોતો. 'મારા માટે એ સમય CHASING THE CHALLENGESનો હતો'પોતાના કાર્યોથી સમાજમાં એક ઊંડી છાપ છોડવાના ઉદ્દેશથી શરુ કરેલી સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી તેમના માટે પડકારરૂપ રહી. UPSCમાં સતત ત્રણ નિષ્ફળતા મળી, આ નિષ્ફળતા પચાવવી તેમના માટે ખૂબ મુશ્કેલ હતી. તેમણે કહ્યું કે, જેણે હંમેશા પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનથી આગવી ઓળખ મેળવી હોય, અભ્યાસમાં હંમેશા ઉજ્જવળ દેખાવ કર્યો હોય તેના માટે સતત ત્રણ નિષ્ફળતા પોતાની જ ક્ષમતાઓ પર સવાલ ઉભો કરે એ સ્વાભાવિક હતું. મારા માટે એ સમય CHASING THE CHALLENGESનો હતો. પાંચ વર્ષના ઉતાર-ચઢાવ, સફળતા- નિષ્ફળતાએ તેમના વ્યક્તિત્વને નિખાર્યું અને જીવનમાં સંતુલન રાખતા શીખવ્યું. હવે સ્થિરતાપૂર્વક ઘર અને વ્યવસાય સ્થળે પોતાની ફરજ- જાહેર સેવા, જનસેવાનો સંતોષ અનુભવી રહ્યા છે એમ તેઓ જણાવે છે. CPTનો ઉદ્દેશ્ય સાયબર ગુનેગારો સામે લડી રહેલી મહિલાઓને પ્રોત્સાહિત કરવાનોસેન્ટર ફોર પોલીસ ટેકનોલોજી દ્વારા આ પહેલનો હેતુ ફ્રન્ટલાઈન સાયબર પોલીસિંગ પ્રેક્ટિશનરોને ઓળખવાનો છે. જેમના યોગદાનને ઘણીવાર માન્યતા આપવામાં આવતી નથી. આમાંના ઘણા અધિકારીઓ મહત્વપૂર્ણ તકનીકી અને તપાસ કાર્ય કરે છે, પરંતુ તેમના પ્રયત્નોને તેઓ લાયક માન્યતા મળતી નથી. આ એવોર્ડ દ્વારા, CPTનો ઉદ્દેશ્ય સાયબર ગુનેગારો સામે સક્રિયપણે લડી રહેલી અને ભારતના ડિજિટલ સુરક્ષા માળખાને મજબૂત બનાવતી મહિલા વ્યાવસાયિકોની ભૂમિકાને પ્રકાશિત કરવાનો છે. 'આ મહિલા અધિકારીઓ ડિજિટલ વિશ્વની વાસ્તવિક ફ્રન્ટલાઈન ડિફેન્ડર્સ'ફ્યુચર ક્રાઈમ રિસર્ચ ફાઉન્ડેશનના અધ્યક્ષ અને મુખ્ય માર્ગદર્શક અને ભૂતપૂર્વ IPS અધિકારી પ્રો. ત્રિવેણી સિંહે જણાવ્યું હતું કે, 'આ મહિલા અધિકારીઓ ડિજિટલ વિશ્વની વાસ્તવિક ફ્રન્ટલાઈન ડિફેન્ડર્સ છે. તેઓ ગુમ નાયિકાઓ છે જેઓ સાયબર ગુનાની તપાસ કરવા, સાયબર ક્ષમતાઓ વિકસાવવા અને નાગરિકોમાં સાયબર જાગૃતિ ફેલાવવા માટે અથાક મહેનત કરે છે.' 33 પસંદ કરાયેલી મહિલાઓને સન્માન પ્રમાણપત્ર એનાયત કરાશેએવોર્ડ માટેની પસંદગી પ્રક્રિયા બહુ-સ્ત્રોત મૂલ્યાંકન માળખા દ્વારા હાથ ધરવામાં આવી હતી. જ્યુરીએ મીડિયા રિપોર્ટ્સ, સોશિયલ મીડિયા હાજરી, પીઅર સમીક્ષાઓ, સ્વ-નામાંકનો, દસ્તાવેજીકૃત પહેલ અને પોલીસ અધિકારીઓ અને વરિષ્ઠ નેતૃત્વના ક્ષેત્ર પ્રતિસાદના આધારે વિજેતાઓની પસંદગી કરી. 33 પસંદ કરાયેલી મહિલા સાયબર કોપ્સને સેન્ટર ફોર પોલીસ ટેકનોલોજી દ્વારા સન્માન પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. આ માન્યતા ભારતમાં સાયબર ગુના તપાસ અને ડિજિટલ પોલીસિંગને મજબૂત બનાવવામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાનને માન્યતા આપે છે. આ પહેલ દ્વારા, સેન્ટર ફોર પોલીસ ટેકનોલોજી સાયબર પોલીસિંગના ક્ષેત્રમાં પાયાના સ્તરે નવીનતા અને શ્રેષ્ઠતાને માન્યતા આપવાની તેની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરે છે. તેનો ઉદ્દેશ્ય સાયબર ક્રાઇમ જેવા નવા પડકારોનો સામનો કરવા અને ડિજિટલ ઇન્ડિયાને સુરક્ષિત કરવામાં નેતૃત્વની ભૂમિકાઓ નિભાવવા માટે વધુ મહિલા અધિકારીઓને પ્રેરણા આપવાનો પણ છે.
અલગ અલગ ચાર કેટેગરીમાં 5,000 થી વધુ સ્પર્ધકો દોડમાં ભાગ લીધો આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે ભાવનગર ખાતે કેરીસિલ દ્વારા રાઈઝ ટુ રન મેરેથોન નું આયોજન કરવામાં આવ્યું હતું, આ મેરેથોનમાં ઈશા દેઓલ અને કરિશ્મા તન્નાએ દોડવીરોનો ઉત્સાહ વધાર્યો હતો, જેમાં ચિરાગ પારેખ અને શીતલ પારેખ દ્વારા આયોજિત ‘રાઈઝ ટુ રન’ મેરેથોનમાં 5000થી વધુ ભાવનગરવાસીઓએ સવારે વાગ્યે દોડીને સ્વાસ્થ્ય અને નારી શક્તિનો સંદેશ આપ્યો હતો. કેરેસીલ મેરેથોનમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા, કૃષિમંત્રી જીતુ વાઘાણી, પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, કેરેસિલના ચિરાગ પારેખ, ભાવનગરના મેયર ભરત બારડ, કલેકટર ડો.મનીષ બંસલ, કમિશનર એન.કે.મીણા, એક્રીકો લિમિટેડના ડિરેક્ટર શીતલ પારેખ, મેડિકલ કોલેજના ડિન ચિન્મય શાહ, કુલપતિ, પૂર્વ શહેર પ્રમુખ રાજીવ પંડ્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેરીસીલ મેરેથોન ચાર કેટેગરીમાં યોજવામાં આવી હતી, જેમાં 3 Km, 5 Km, 10 km અને 21.5 km માટે અલગ અલગ રૂટ રાખવામાં આવ્યા હતા, શહેરના જવાહર મેદાન ખાતેથી સવારે સ્પર્ધા શરૂ થઈ હતી અને અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ એક થી ત્રણ વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, આ મેરેથોનમાં 5,000 થી વધુ લોકોએ નોંધણી કરાવી હતી જેમાં ભારતના વિવિધ રાજ્યો જેમકે આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાંથી પણ દોડવીરો આ મેરેથોનમાં ભાગ લેવા માટે ભાવનગર આવી પહોંચ્યા હતા, મેરેથોન અંગે બોલીવુડ અભિનેત્રી ઇશા દેઓલએ જણાવ્યું હતું કે, આજે હું ભાવનગર આવી છું ચિરાગ પારેખ અને તેમના પત્ની શીતલ પારેખ દ્વારા કેરીસિલ સૌજન્યથી એક મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે આ મેરેથોનનું નામ ‘રાઈઝ ટુ રન’ રાખવામાં આવ્યું છે સૌથી ખાસ વાત એ છે કે, આજે ‘મહિલા દિવસ’ પર આ મેરેથોન યોજાઈ રહી છે. મને સૌથી વધુ ગમી હોય અને દિલને સ્પર્શી ગઈ હોય તેવી વાત એ છે કે, અહીં આટલા બધા લોકો ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે, આખેઆખા પરિવાર સાથે મળીને આવ્યા છે જેમ કે દાદા પણ દોડે છે અને પૌત્ર પણ દોડી રહ્યો છે માતા-પિતા અને બાળકો બધા સાથે મળીને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થઈ રહ્યા છે અને મેરેથોનમાં ભાગ લઈ રહ્યા છે, આ જોઈને મને ખૂબ જ આનંદ થયો છે, સૌથી પહેલા તો તમામ મહિલાઓને ‘મહિલા દિવસ’ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ હું બધી જ સ્ત્રીઓને એટલું જ કહીશ કે, તમારામાં ‘નારી શક્તિ’ રહેલી છે તમારી આ શક્તિનો સાચી રીતે ઉપયોગ કરો અને ચોક્કસપણે તેનો ઉપયોગ કરો, કરિશ્મા તન્નાએ જણાવ્યું હતું કે, આજે અમે ભાવનગરમાં છીએ, દરેકને સપોર્ટ કરીને ખૂબ જ ખુશ છું મારું ભાવનગર સાથે સ્પેશિયલ કનેક્શન છે કારણ કે મારી મમ્મીનું પિયર ભાવનગર છે, હું અહીં ઘણી વાર આવી છું અને જ્યારે પણ અહીં આવું છું, ત્યારે મને ખૂબ જ આનંદ થાય છે આજે પણ એવો જ કંઈક માહોલ છે હું અહીં મેરેથોન માટે આવી છું અને આટલા બધા લોકોને સપોર્ટ કરીને મને ગર્વ થાય છે. મહિલાઓ માટે મારો સંદેશ એ જ છે કે આપણે આપણા અધિકારો જાળવી રાખવા જોઈએ. મને એ વાતની ખૂબ ખુશી છે કે હવે સ્ત્રી અને પુરુષ સમાન સ્તરે આવી ગયા છે, હવે બંને વચ્ચે બહુ તફાવત નથી રહ્યો, જે રીતે પુરુષો કામ કરે છે, તે જ રીતે મહિલાઓ પણ કામ કરે છે. તેઓ સ્વતંત્ર અને મજબૂત છે સમાજમાં આવેલા આ બદલાવથી હું ખૂબ જ ખુશ છું. મેરેથોનના મુખ્ય આયોજક અને ઉદ્યોગપતિ ચિરાગ પારેખે જણાવ્યું હતું કે, મારો એક જ ધ્યેય છે કે ભાવનગર વ્યસનમુક્ત બને અને લોકો સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અપનાવે, ભાવનગરને વાઈબ્રન્ટ અને વિકસિત બનાવવા માટે આપણે દોડવું પડશે, હવેથી આ મેરેથોન દર વર્ષે યોજાશે,એક્રીકો લિમિટેડના ડિરેક્ટર શીતલ પારેખે આ કાર્યક્રમને વુમન એમ્પાવરમેન્ટ સાથે જોડતા જણાવ્યું કે, 5000થી વધુ લોકોનો સપોર્ટ દર્શાવે છે કે ભાવનગર બદલાવ માટે તૈયાર છે સ્ત્રીઓનું ઉત્થાન એ આખા સમાજનું ઉત્થાન છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, 8 ગુજરાત નેવલ યુનિટ એનસીસી જામનગર દ્વારા સ્વાસ્થ્ય જાગૃતિના સંદેશ સાથે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી વહેલી સવારે યોજાઈ હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. આ સાયકલ રેલી બેડેશ્વર સરકારી કોલોની સ્થિત નેવલ યુનિટથી શરૂ થઈને બેડી પોર્ટ સુધી પહોંચી હતી. તેમાં વિવિધ શાળાના 63 કેડેટ્સ, 2 એસોસિએટ એનસીસી ઓફિસર્સ, 2 કેરટેકર ઓફિસર્સ અને 12 પીઆઇ સ્ટાફ સહિતનો સ્ટાફ જોડાયો હતો. રેલીને સેકન્ડ ઓફિસર તોરલ ઝવેરી દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. રેલી દરમિયાન કેડેટ્સ દ્વારા નારીશક્તિના મહાત્મ્યને દર્શાવતું નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. સ્વાસ્થ્ય જાગૃતિના સંદેશ સાથે સુંદર ચિત્રો પણ દોરવામાં આવ્યા હતા. આ રોમાંચક કાર્યક્રમ દ્વારા એનસીસીના એકતા અને અનુશાસનના ઉદ્દેશ્યને સાકાર કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, 8 ગુજરાત નેવલ યુનિટ એનસીસી જામનગરના કમાન્ડિંગ ઓફિસર કમાન્ડર સ્નેહા રાયે સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે નારી એ નવસર્જન અને નેતૃત્વના સમન્વયને સાકાર કરતું ઈશ્વરનું અદભુત સર્જન છે. માતા, પુત્રી, પત્ની, બહેન જેવા વિવિધ રૂપોમાં નારી શક્તિના સંયમ, શક્તિ, સર્જન અને સમર્પણના પાસાઓ દુનિયાને સંવેદનશીલતા અને જીવંતતાથી ધબકાવે છે. કમાન્ડર રાયે વધુમાં ઉમેર્યું કે સંરક્ષણ ક્ષેત્રની સેવાઓથી લઈને અવકાશયાત્રા સુધીના તમામ ક્ષેત્રોમાં નારી સામર્થ્યની અતુલ્ય ઝલક દુનિયાને અનુકરણીય દ્રષ્ટાંતો પૂરી પાડી રહી છે. તેમણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ નારીશક્તિને સલામ કરી તેમની ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવી હતી.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાજ્યના ઊર્જા મંત્રી કૌશિક વેકરીયાએ અમરેલી ખાતેની પી.જી.વી.સી.એલ. વર્તુળ કચેરીની મુલાકાત લીધી હતી. તેમણે મહિલા કર્મચારીઓ સાથે 'સંવાદ સેતુ' કાર્યક્રમ અંતર્ગત વાતચીત કરી હતી અને કચેરીમાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રી વેકરીયાએ કચેરીમાં મહિલા કર્મચારીઓ માટેના રેસ્ટ રૂમ અને બાળકોની સંભાળ માટે ખાસ તૈયાર કરાયેલા 'ઊર્જાકક્ષ'ની મુલાકાત લીધી હતી. તેમણે મહિલા કર્મચારીઓની નિષ્ઠાપૂર્વકની સેવાને બિરદાવી હતી. 'સંવાદ સેતુ' કાર્યક્રમમાં સંબોધન કરતા ઊર્જા મંત્રીએ જણાવ્યું હતું કે, ઘરના ખૂણેથી લઈને દેશના સીમાડા સુધી મહિલાઓની ભૂમિકા અગ્રિમ રહી છે. તેમણે દીકરીઓને બે કુળની તારણહાર અને શક્તિ સ્વરૂપા ગણાવી, અને કહ્યું કે આજે દેશના દરેક ક્ષેત્રમાં મહિલાઓ સંઘર્ષ દ્વારા સફળતાના શિખરે પહોંચી છે. આ પ્રસંગે, વર્ષ 2024 અને 2025માં યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજયી બનેલી મહિલા ક્રિકેટ ટીમનું ટ્રોફી આપીને સન્માન કરવામાં આવ્યું હતું. મંત્રીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સૌ મહિલા કર્મચારીઓને શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અમરેલીના જાણીતા એજ્યુકેશનલ મેન્ટર અને મોટીવેશનલ સ્પીકર કેવલ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. આ 'સંવાદ સેતુ' કાર્યક્રમમાં પી.જી.વી.સી.એલ. વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર જે.એસ. દહિયા, અન્ય અધિકારીઓ અને મોટી સંખ્યામાં મહિલા કર્મચારીઓ સહભાગી બન્યા હતા.
સમગ્ર દેશમાં અત્યારે ક્રિકેટનો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે, ત્યારે ડાયમંડ સિટી સુરત પણ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી ફાઈનલ મેચના રંગે રંગાયું છે. વર્ષ 2026ના T20 વર્લ્ડ કપની આ જંગને લઈને સુરતીલાલાઓમાં અનેરો ઉત્સાહ છે. રવિવારની રજા અને તેમાં પણ ભારતની ફાઈનલ મેચ હોવાથી શહેરના દરેક ખૂણે માત્ર ક્રિકેટની જ ચર્ચાઓ સંભળાઈ રહી છે. મિત્રો અને પરિવાર સાથે મેચ પાર્ટીનું આયોજનસુરતના ક્રિકેટ રસીકોએ આ ઐતિહાસિક મેચને માણવા માટે અનોખું આયોજન કર્યું છે. લોકોએ પોતાના મિત્રો અને પરિવાર સાથે મળીને મેચ જોવાની ખાસ વ્યવસ્થા કરી છે. સુરતી ખાણી-પીણી અને ક્રિકેટનો સંગમ આજે દરેક ઘરમાં જોવા મળી રહ્યો છે. રસીકોનું કહેવું છે કે, ભારત જ્યારે ફાઈનલમાં હોય ત્યારે તેને એકલા જોવાની મજા નથી, એટલે અમે આખું ગ્રુપ ભેગા મળીને ભારતને ચિયર કરીશું. હાર્દિક પંડ્યા અને સ્પીડસ્ટર જસપ્રીત બુમરાહ ને લઈને ભારે ક્રેઝ મેચ પહેલા ચાહકોમાં પોતાના મનપસંદ ખેલાડીઓને લઈને ભારે ચર્ચા જામી છે. સુરતના યુવાનોમાં ખાસ કરીને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને સ્પીડસ્ટર જસપ્રીત બુમરાહ ને લઈને ભારે ક્રેઝ છે. ક્રિકેટ પ્રેમીઓએ આશા વ્યક્ત કરી છે કે આજે હાર્દિક પંડ્યા બેટ અને બોલ બંને વડે ધમાલ મચાવશે અને ભારતને ફાઈનલ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. બીજી તરફ, બોલિંગમાં 'બુમ બુમ બુમરાહ'ના યોર્કર ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોની વિકેટો ઉડાવશે તેવો મક્કમ વિશ્વાસ સુરતીઓએ વ્યક્ત કર્યો છે. ન્યૂઝીલેન્ડ સામેની રસાકસીનો રોમાંચભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેનો મુકાબલો હંમેશા રસાકસીભર્યો રહ્યો છે. ભૂતકાળમાં ICC ટૂર્નામેન્ટ્સમાં ન્યૂઝીલેન્ડે ભારતને અનેકવાર ટક્કર આપી છે, પરંતુ આ વખતે ભારતીય ટીમ ફોર્મમાં હોવાથી સુરતી રસીકોને જીતની પૂરેપૂરી ખાતરી છે. રસીકોના મતે, ભલે ન્યૂઝીલેન્ડની ટીમ મજબૂત હોય, પણ ઘરઆંગણે રમાતી આ ફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો હાથ ઉપર રહેશે. 'જીતશે ભાઈ જીતશે, ભારત જીતશે' ના નારાઆજે વહેલી સવારથી જ સુરતના અનેક વિસ્તારોમાં ક્રિકેટ પ્રેમીઓ હાથમાં બેટ બોલ લઈ મેદાનમાં ઉતાર્યા હતા અને ભારત માતા કી જય અને જીતશે ભાઈ જીતશે, ભારત જીતશે ના નારાઓ સાથે ક્રિકેટ ચાહકોએ વાતાવરણ ગજવી મૂક્યું છે. આ મેચ માત્ર એક રમત નથી, પણ સુરતીઓ માટે એક ઉત્સવ બની ગઈ છે. 'ઇન્ડિયા જીતે એવી આપણને આશા છે'ક્રિકેટ પ્રેમી અમિત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, હંમેશા ન્યુઝીલેન્ડ સામે મેચ હોય એટલે રસાકસી તો થાય જ છે. સારી થશે મેચ, ઇન્ડિયા જ જીતશે એ તો ખબર જ છે કે ઇન્ડિયા જીતે એવી આપણને આશા છે. સારું પર્ફોર્મ કરે, આખું ટુર્નામેન્ટ સારું રમ્યું છે, તો આ ફેરી પણ સારું રમે, પર્ફોર્મ કરે, બધા પ્લેયર્સ સારું પોતપોતાનું કોન્ટ્રીબ્યુશન આપે, ઇન્ડિયા જીતે એવી આશા છે બધાને. LED સ્ક્રીન પર મેચનુ લાઈવ ટેલિકાસ્ટ વેસુના કોર્પોરેટર રશ્મીબેન ગિરધારી સાબુએ જણાવ્યું હતું કે, મેચને લઈને ઉત્સાહ બહુ વધારે છે અને બધાની સાથે સોસાયટી મેમ્બર્સ અને આખા વોર્ડના કાર્યકર્તાઓએ મળીને મેચ જોવાના કાર્યક્રમનું આયોજન કર્યું છે, અને ડુમસ સી-ફેસનુ આજે ઉદ્ઘાટન કરવાનું છે, તેમાં પણ LED સ્ક્રીન પર મેચનુ લાઈવ ટેલિકાસ્ટ થવાનું છે.
નવસારીમાં 'જળ મહોત્સવ'નો પ્રારંભ:સી.આર. પાટીલે ઉદ્ઘાટન કર્યું, 22 માર્ચ સુધી ચાલશે
નવસારી જિલ્લામાં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે જળ શક્તિ મંત્રાલય દ્વારા 'જળ મહોત્સવ'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે નવસારીના રહેજ ગામથી આ મહોત્સવનો શુભારંભ કરાવ્યો. આ અભિયાન 8 માર્ચથી શરૂ થઈને 22 માર્ચ, 'વિશ્વ જળ દિવસ' સુધી ચાલશે. આ કાર્યક્રમમાં જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ગ્રામીણ મહિલાઓનું સન્માન કરાયું હતું. જળ મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી સી.આર. પાટીલે ગણદેવી તાલુકાના રહેજ ગામમાં નવી પાણી યોજનાનું લોકાર્પણ કર્યું. આ કાર્યક્રમમાં ગુજરાતના નાણા મંત્રી કનુ દેસાઈ, આદિજાતિ મંત્રી નરેશ પટેલ, પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલ અને સાંસદ ધવલ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ આ યોજના ગામના આગેવાનોને સુપરત કરી, જેથી ગ્રામીણ સ્તરે પાણીની સુવિધા વધુ સુદ્રઢ બનશે. 'સુજલામ શક્તિ'ના મંત્ર સાથે આયોજિત આ કાર્યક્રમમાં મહિલા શક્તિનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. ગણદેવી તાલુકાના 4 ગામોની પાણી સમિતિઓને સન્માનિત કરાઈ, જેમાં 70 ટકાથી વધુ મહિલા સભ્યો કાર્યરત છે. આ ઉપરાંત, ખેરગામ અને ફડવેલ ગામની મહિલા પંપ ઓપરેટરો તેમજ જળ સંરક્ષણ ક્ષેત્રે સક્રિય 'ભૂલકું સ્વયં સહાયતા જૂથ'ની બહેનોને પણ તેમની કામગીરી બદલ બિરદાવવામાં આવી. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જાહેરાત કરી કે, જળ સંરક્ષણ પ્રત્યે લોકજાગૃતિ લાવવા માટે હવેથી દર વર્ષે 8 માર્ચ (વિશ્વ મહિલા દિવસ) થી 22 માર્ચ (વિશ્વ જળ દિવસ) દરમિયાન 'જળ મહોત્સવ'ની ઉજવણી કરવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગામડાઓમાં જળ વ્યવસ્થાપનને મજબૂત કરવાનો અને તેમાં લોકભાગીદારી વધારવાનો છે. કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતા સી.આર. પાટીલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 'જલજીવન મિશન' હેઠળ દેશમાં 16 કરોડ ઘરોમાં નળ દ્વારા પાણી પહોંચાડવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે, વર્ષ 2028 સુધીમાં બાકી રહેલા તમામ ઘરોમાં પાણી પહોંચાડવાનું લક્ષ્ય નિર્ધારિત કરાયું છે. મુખ્ય અંશો: આ કાર્યક્રમ દ્વારા નવસારી જિલ્લો જળ સંરક્ષણ ક્ષેત્રે દેશમાં મોખરે રહે તેવો વિશ્વાસ મંત્રીએ વ્યક્ત કર્યો હતો.
મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના 64મા જન્મદિવસ નિમિત્તે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે યોજાયેલા આ કેમ્પમાં કુલ 201 લોકોએ રક્તદાન કર્યું હતું. રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ તાજેતરમાં કેન્સર જેવા ગંભીર રોગને હરાવી સફળ ઓપરેશન કરાવ્યું છે. તેમના 64 વર્ષ પૂર્ણ થવા અને દીર્ઘાયુની કામના સાથે આ રક્તદાન કેમ્પ 8 માર્ચે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે યોજાયો હતો. આ કેમ્પમાં અમૃતિયા પરિવારના સભ્યો, તેમના સમર્થકો અને ભાજપના આગેવાનો સહિત અનેક લોકોએ રક્તદાન કર્યું હતું. કાંતિભાઈના પુત્ર પ્રથમ અમૃતિયાએ જણાવ્યું હતું કે, મહિલાઓ સહિત કુલ 201 લોકોએ રક્તદાન કર્યું. મોરબી શહેર ભાજપના પૂર્વ પ્રમુખ લાખાભાઈ જારીયાએ માહિતી આપી હતી કે, કાંતિભાઈ અમૃતિયાનું મુંબઈ ખાતે કેન્સરનું સફળ ઓપરેશન થયું છે અને તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે. તેમણે ઉમેર્યું હતું કે, આગામી દિવસોમાં તેઓ ફરીથી લોકસેવાના કાર્યોમાં સક્રિય થશે. કાંતિભાઈએ કેન્સર જેવી બીમારીને હરાવતા તેમના સમર્થકો અને શહેર ભાજપની ટીમમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ઉત્સાહના કારણે ભાજપ પરિવારના સભ્યોએ પણ આ રક્તદાન કેમ્પમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આજે 8મી માર્ચ એટલે કે 'વિશ્વ મહિલા દિવસ' નિમિત્તે મહેસાણા શહેરમાં નારીશક્તિનો એક અનોખો અને પ્રેરણાદાયી મિજાજ જોવા મળ્યો હતો. શહેરની બે અગ્રણી ક્લબો દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહભેર જોડાઈને રક્તદાન કર્યું હતું. સામાન્ય રીતે રક્તદાનમાં મહિલાઓની ભાગીદારી ઓછી જોવા મળતી હોય છે, પરંતુ મહેસાણાની મહિલાઓએ આજે રક્તદાન કરી નવી રાહ ચીંધી છે અને સાબિત કરી દીધું છે કે મહિલાઓ દરેક ક્ષેત્રની જેમ રક્તદાન કરવા માટે પણ એટલી જ સશક્ત અને મજબૂત છે. 'એશિયા બુક ઓફ રેકોર્ડ્સ'માં નામ નોંધાવવા તરફ લક્ષ્યઆ કાર્યક્રમની વિશેષતા એ રહી કે એક જ સ્થળે માત્ર મહિલાઓ દ્વારા આટલી મોટી સંખ્યામાં રક્તદાન કરીને 'એશિયા બુક ઓફ રેકોર્ડ્સ'માં નામ નોંધાવવા તરફ લક્ષ્ય રાખવામાં આવ્યું છે. વહેલી સવારથી જ મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ અંગે ઇનર વ્હીલ ક્લબના શૈલાબેન લોખંડવાલાએ જણાવ્યું હતું કે, મહિલાઓમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ આવે તેવા ઉમદા હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ મહિલા દિવસની અનોખી અને યાદગાર ઉજવણીમહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં અગ્રેસર છે, પરંતુ રક્તદાનમાં ક્યાંક પાછળ જોવા મળતી હતી. આજે આ ખાઈ પૂરાતી દેખાઈ રહી છે. સવારે 8 વાગ્યાનો સમય હોવા છતાં મહિલાઓ સવારે 7 વાગ્યાથી જ રક્તદાન માટે ઉમટી પડી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, એક મહિલાના રક્તદાનથી ત્રણ વ્યક્તિઓના જીવ બચી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહિલા સશક્તિકરણના વિઝનને આજે મહેસાણાની આ બહેનોએ ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે. આ રક્તદાન કેમ્પ દ્વારા સમાજની અન્ય મહિલાઓને પણ પ્રેરણા મળી છે કે રક્તદાનથી શરીરમાં કોઈ નબળાઈ આવતી નથી, પરંતુ તેનાથી અનેક જરૂરિયાતમંદોને નવજીવન મળે છે. આમ મહેસાણાની મહિલાઓએ રક્તદાન થકી વિશ્વ મહિલા દિવસની અનોખી અને યાદગાર ઉજવણી કરી હતી.
આજે 8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. દેશ અને દુનિયામાં મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે ગાંધીનગરમાં આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનોએ પોતાના હક્કને લઈ આંદોલન કરવું પડી રહ્યું છે. લઘુતમ વેતન, કાયમી દરજાજા સહિતની પડતર માંગણીઓને લઈ પાટનગરમાં સંતાનો સાથે પહોંચેલી મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. રેલી માટે મંજૂરી લીધી ન હોય પોલીસે ડીટેઈન કરતા ધક્કામુક્કીના દૃશ્યો સર્જાયા હતા. મહિલા આગેવાને કહ્યું હતું કે, જો ખરેખર મહિલા દિવસની ઉજવણી કરવી હોય તો ગુજરાતની આશા વર્કર, આશા ફેસિલિટેટર, આંગણવાડીની બહેનો અને મધ્યાહન ભોજનના કર્મચારીઓને તેમનો બંધારણીય હક લઘુત્તમ વેતન આપીને તેમને આર્થિક રીતે સશક્ત કરો. મહિલા દિવસે જ રાજ્યભરમાંથી આવેલી આશાવર્કર બહેનોએ આંદોલન કર્યુંરાજ્યભરમાંથી આવેલી આશા વર્કર બહેનો આજે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે એકઠી થઈ હતી. મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ એકત્ર થયેલી બહેનોએ સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી દીધું હતું. જોકે આ વિરોધ પ્રદર્શન માટે પોલીસની પૂર્વ પરવાનગી લેવામાં આવી નહોતી. પરવાનગી વિના જ બહેનોએ એકત્ર થઈને ધરણા શરૂ કર્યા હતા અને પોતાની માંગણીઓ પ્રત્યે સરકારનું ધ્યાન ખેંચવા પ્રયાસ કર્યો હતો. રેલી યોજતા મંજૂરી ન હોવાનું કહી પોલીસે મહિલાઓને ડીટેઈન કરીઆ ધરણા દરમિયાન બહેનોએ સત્યાગ્રહ છાવણીથી રેલી સ્વરૂપે આગળ વધવાની અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની તૈયારીઓ કરી હતી. જોકે પોલીસ દ્વારા વારંવાર સમજાવવા છતાં અને પરવાનગી ન હોવાનું જણાવવા છતાં બહેનો રેલી કાઢવા પર મક્કમ રહી હતી. જેથી પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં પોલીસે સતર્કતા વાપરી રેલી શરૂ થાય તે પૂર્વે જ મહિલા શક્તિ સેનાના આગેવાન સહિત મોટી સંખ્યામાં હાજર આશા વર્કર બહેનોની અટકાયત કરી લીધી હતી. ત્યારે મહિલા દિને જ આશા વર્કર બહેનોની અટકાયત થતા વાતાવરણમાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી. પોલીસે તમામ બહેનોને બસોમાં ભરીને ડિટેઈન કરી લીધી હતી અને વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોતાની પડતર માંગણીઓ માટે લડત આપી રહેલી બહેનોએ આક્ષેપ કર્યો હતો કે, મહિલા દિને જ મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરકારને ગરીબ મહિલાઓને ન્યાય આપવામાં રસ નથી- ચંદ્રિકા સોલંકીઆ અંગે મહિલા શક્તિ સેનાના આગેવાન ચંદ્રિકાબેન સોલંકીએ આક્રોશ વ્યકત કર્યો હતો કે, સરકારને ખબર છે કે કેટલાય વર્ષોથી આશા વર્કર બહેનો પીડાઈ રહી છે. તેમની માંગણીઓ નાની નાની છે, લઘુત્તમ વેતનથી લઈને અન્ય પ્રશ્નો છે. પરંતુ આજદિન સુધી જાણતા હોવા છતાં અજાણ્યા બનવાનો ઢોંગ કરી રહ્યા છે અને મહિલાઓને મદદ કરવા તૈયાર નથી.તેમના બિલ્ડરોને જો કોઈ નુકસાન થવાનું હોય તો રાતોરાત નિયમો બદલાઈ જાય છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, ઉદ્યોગપતિઓેને જો જમીન આપવાની હોય કે મોટા કોન્ટ્રાક્ટ આપવાના હોય તો નવા નિયમો બની જાય છે. પરંતુ બંધારણની અંદર જે નિયમ છે લઘુત્તમ વેતનનો તેનું પાલન કરવા માટે આ લોકો તૈયાર નથી. આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, સરકારને આ SC, ST અને OBCની પછાત તથા ગરીબ મહિલાઓને ન્યાય આપવામાં જરાય રસ નથી. 'અમને બંધારણીય અધિકાર મુજબ લઘુતમ વેતન આપવામાં આવે'અમારી માંગણી છે કે બંધારણીય અધિકાર મુજબ લઘુત્તમ વેતન આપવામાં આવે. અમે એવી કોઈ માંગ નથી કરી કે, ધારાસભ્યોને જે રીતે મફતના ભાવે કરોડોના ફ્લેટ મળે છે તેવા ફ્લેટ આ બહેનોને ગામડામાં બનાવી આપવામાં આવે. આ બહેનો રાત-દિવસ કામ કરે છે, તે આરોગ્યનો પાયો છે. મોંઘવારીના આ સમયમાં જ્યારે તેલનો ડબ્બો અને ગેસના બાટલાના ભાવ આસમાને છે ત્યારે મામૂલી ઇન્સેન્ટિવ આપીને તેમનું શોષણ કરવામાં આવે છે જે અમને બિલકુલ મંજૂર નથી. આજે મહિલા દિવસના નામે માત્ર સ્ટેજ બનાવી ભાષણો આપી અને કરોડોનો ખર્ચો કરી વાહ-વાહ કરવામાં આવે છે. જો ખરેખર મહિલા દિવસ ઉજવવો હોય તો ગુજરાતની આશા વર્કર, આશા ફેસિલિટેટર, આંગણવાડીની બહેનો અને મધ્યાહન ભોજનના કર્મચારીઓને તેમનો બંધારણીય હક લઘુત્તમ વેતન આપીને તેમને આર્થિક રીતે સશક્ત કરો એ જ સાચા અર્થમાં મહિલા દિવસની ઉજવણી ગણાશે.
જામનગરના હાપા વિસ્તારમાં આવેલી મધુસુદન મસાલા કંપનીના ગ્રાઉન્ડમાં આજે મરચાના જથ્થામાં ભીષણ આગ લાગી હતી. સુકવવા માટે રાખવામાં આવેલા મરચાના વિશાળ જથ્થામાં આગ લાગતા જોતજોતામાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગને કારણે આકાશમાં કાળા અને ઘટ્ટ ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. મરચાની તીખાસ ધરાવતા આ ધુમાડાથી આસપાસના વિસ્તારના લોકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘણા લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની ફરિયાદો નોંધાઈ હતી. ઘટનાની જાણ થતાં જ જામનગર ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરો દ્વારા બે ફાયર ફાઈટરની મદદથી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આગ વધુ ન ફેલાય તે માટે સતત પાણીનો મારો ચલાવી યુદ્ધના ધોરણે પ્રયાસો ચાલુ છે. પ્રાથમિક માહિતી અનુસાર, ગ્રાઉન્ડમાં મરચાનો જથ્થો સુકવવા માટે રાખવામાં આવ્યો હતો ત્યારે અચાનક આગ લાગી હતી. જોકે, આગ શોર્ટ સર્કિટથી લાગી કે અન્ય કોઈ કારણસર, તે હજુ સ્પષ્ટ થયું નથી. હાલમાં આગને સંપૂર્ણપણે બુઝાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ત્યારબાદ નુકસાનીનો અંદાજ અને આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવશે.
વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતી મહિલાના ઘરે અજાણ્યા ચોરોએ પાછળના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી સોના-ચાંદીના ઘરેણા તથા રોકડ રકમ મળી કુલ રૂ.7.33 લાખની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી મહિલા પાયલ સંતોષ વાસ્તેકર (ઉ.વ.48) મીરા સોસાયટી વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. તેમના પતિ સંગમ ચાર રસ્તા પાસે બાલાજી ચૂલા ઢોસા નામની હોટલ ચલાવે છે. ગત તા. 4 માર્ચે ધુળેટીનો તહેવાર હોવાથી સાંજના સાડા પાંચ વાગ્યાના આસપાસ પાયલબેન તેમના ઘરે તાળું મારી દીકરી સાથે પિયરમાં ગયાં હતા, જ્યારે તેમના પતિ હોટલ પર હતા. રાત્રે આશરે 9.30 વાગ્યે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે ઘરના પાછળના દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું અને મચ્છરદાનીની જાળી પણ તોડવામાં આવી હતી. શંકા જતા ઘરમાં તપાસ કરતા વચ્ચેના રૂમમાં રાખેલી તિજોરીનો લોકર તોડી તેમાં રહેલા સોના-ચાંદીના ઘરેણા તેમજ રોકડ રકમ ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. ચોરીમાં બે સોનાની ચેઇન, કજરી માળા, મંગળસૂત્ર, કંગન, પેન્ડલ, વીંટી, નાકની ચૂની સહિતના સોનાના ઘરેણા, ચાંદીના ઘરેણા સાથે રોકડ 5.07 લાખ મળી કુલ રૂ.7.33 લાખની ચોરી થઈ હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમવાની છે. ત્યારે આ ફાઈનલ મેચ માટે જોવા અનેક સેલિબ્રિટી અમદાવાદ આવી રહ્યા છે. દેશના ખૂણેખૂણેથી ક્રિકેટ રસિકો, બોલિવૂડ સેલિબ્રિટી, દિગ્ગજ ક્રિકેટરો અને જાણીતા કલાકારો પણ અમદાવાદ પહોંચી રહ્યા છે. ફાઈનલ મેચના કારણે મોટી સંખ્યામાં લોકો અમદાવાદ આવતા હોવાથી હોટલના ભાવમાં પણ અધધ વધારો જોવા મળી રહ્યો છે. હોટલના ભાડા બે લાખ કરતા પણ વધુ પહોંચી ગયા છે. તો મોટા ભાગની હોટેલો ફુલ થઈ ગઈ છે. જેથી હોટલ સંચાલકોને ઘણો ફાયદો થવાનો છે. અનેક ફાઈવ સ્ટાર અને લક્ઝરી હોટલોના રૂમ સંપૂર્ણપણે બુકઅમદાવાદમાં આજે ક્રિકેટનો મહામુકાબલો જોવા મળવાનો છે. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ગણાતું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ માટે સજ્જ બન્યું છે. આ ઐતિહાસિક મુકાબલો જોવા દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ અમદાવાદ આવી પહોંચ્યા છે. ફાઈનલ મેચનો રોમાંચ માણવા શહેરમાં આવી રહ્યા હોવાથી સમગ્ર અમદાવાદમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ફાઈનલ મેચના કારણે અમદાવાદમાં હોટલ ઇન્ડસ્ટ્રીમાં પણ ભારે તેજી આવી છે. શહેરની અનેક ફાઈવ સ્ટાર અને લક્ઝરી હોટલોના રૂમ સંપૂર્ણપણે બુક થઈ ગયા છે. હોટલના ભાડામાં લગભગ 300થી 400 ટકા સુધીનો વધારોહોટલની ડિમાન્ડ વધુ હોવાના કારણે હોટલના ભાડામાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. સામાન્ય દિવસોમાં 5 હજારથી 20 હજાર રૂપિયામાં મળતા હોટલ રૂમના ભાવ હવે 50 હજાર રૂપિયા સુધી પહોંચી ગયા છે, એટલે કે હોટલના ભાડામાં લગભગ 300થી 400 ટકા સુધીનો વધારો નોંધાયો છે. જે હોટલમાં ભાવ બે દિવસ પહેલા 50,000 હતા તે હોટેલના ભાવ આજે બે લાખ કરતા વધુ થઈ ગયા છે. તાજ સ્કાયલાઇન હોટલનું ભાડું 50 હજારથી સીધું 2 લાખ પહોંચ્યુંઇન્ડિયા ટીમ સિંધુભવન પર આવેલી તાજ સ્કાયલાઇન હોટલમાં રોકાઈ છે. જેનું બે દિવસ પહેલા ભાડું 50,000 રૂપિયા હતું. પરંતુ ટીમ ઈન્ડિયા રોકાઈ હોવાથી ક્રિકેટ રસિકો પણ ત્યાં જ રોકાવાનું પસંદ કરતા હોય છે. કારણ કે સ્ટેડિયમમાં ઘણી વખત ટીમના પ્લેયરને નજીકથી જોઈ શકવા મુશ્કેલ હોય છે. તેના કારણે ભારતીય ટીમના ખેલાડીઓને નજીકથી જોવા માટે ટીમ જ્યાં રોકાય ત્યાં રહેવાનું પસંદ કરતા હોય છે કે આવતા જતા સમયે ટીમના ખેલાડીઓને નજીકથી જોઈ શકાય અને શક્ય બને તો તેમની સાથે ફોટો પણ પડાવી શકાય. જેથી તાજ સ્કાયલાઇન હોટલના ભાવ 50,000થી સીધા બે લાખ સુધી પહોંચી ગયા છે. તો બીજી તરફ ITC નર્મદા હોટલમાં તો તમામ રૂમ બુક થઈ ગયા છે. ક્રિકેટના મહામુકાબલાના કારણે હોટલના સંચાલકોને ઘણો ફાયદોફાઈનલ મેચને કારણે માત્ર આ એક જ હોટલ નહીં, પરંતુ શહેરની મોટાભાગની ફાઈવ સ્ટાર અને લક્ઝરી હોટલોમાં પણ રૂમના ભાડામાં ચારથી પાંચ ગણો વધારો નોંધાયો છે. તો એસ.જી. હાઈવે, પ્રહલાદનગર, આશ્રમ રોડ અને સિંધુભવન રોડ વિસ્તારની હોટલો પહેલેથી જ લગભગ ફુલ થઈ ગઈ છે. તો જે હોટલમાં રૂમ ખાલી છે તે તમામ હોટલના ભાવ 50,000 કરતાં વધુ જોવા મળી રહ્યા છે. ક્રિકેટના આ મહામુકાબલાના કારણે માત્ર હોટલના સંચાલકોને ઘણો ફાયદો થવાનો છે.
ભાવનગરના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે એક ખેતમજૂરનું દોરી વડે ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. મજૂરના માસીના દીકરાની પહેલી પત્ની મજૂરી માટે વાડીમાં આવતાં વાંધો હોવાના કારણે અગાઉથી જ બોલાચાલી અને ધમકીઓ આપતો હતો. બાદમાં શખ્સએ બે અજાણ્યા શખ્સો સાથે મળી રાત્રિના સમયે પથ્થર અને લાકડીઓથી હુમલો કર્યા બાદ દોરી વડે ગળું દબાવી મજૂરને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર દરમ્યાન હોસ્પિટલમાં તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે ઉમરાળા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ અગાઉ ઝઘડો કરી ધમકી આપી હતીઉમરાળા તાલુકાના રંઘોળા ગામે મયાભાઈ પેથાભાઈ કુવાડિયાની વાડીમાં રહેતા અને મૂળ પંચમહાલ જિલ્લાના રહેવાસી કૈલાશબેન ચીમનભાઈ નાયકે આ મામલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ત્રણ મહિના પહેલા તેમના પતિ ચીમનભાઈએ વતનમાંથી મજૂરી કામ માટે કેટલાક લોકોને બોલાવ્યા હતા, જેમાં તેમના પતિના માસીના દીકરા દિલીપ લખમણભાઈ નાયકની પહેલી પત્ની સવિતા પણ આવી હતી. આ બાબત દિલીપને ન ગમતાં તેણે અનેકવાર તેમના પતિ સાથે બોલાચાલી કરી હતી અને ફોન પર પણ વારંવાર મારવાની ધમકી આપતો હતો. પથ્થર મારો કરતા દંપતી જીવ બચાવવા ભાગ્યુંત્યારબાદ 6 માર્ચના રોજ બપોરે દિલીપ વાડી પર આવી તેમના પતિ ચીમનભાઈને અપશબ્દો બોલી રાત્રે આવીને મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા. ત્યારબાદ 7 માર્ચની મોડીરાત્રે કૈલાશબેન અને તેમના પતિ વાડીમાં એરંડા ખંખેરી રહ્યા હતા, ત્યારે દિલીપ અને બે અજાણ્યા લોકોએ અચાનક આવી પથ્થરમારો શરૂ કર્યો હતો. પથ્થરમારો કરવાની ના પાડતા જતા આરોપીઓએ લાકડીઓ લઈને હુમલો કરવા દોડ્યા હતા, જેથી દંપતિ જીવ બચાવવા ભાગ્યા હતા. હોસ્પિટલ લઈ જતાં ડોક્ટરે મૃત જાહેર કર્યાકૈલાશબેન બાજુની બોરડીની વાડીમાં છુપાઈ ગયાં, જ્યારે આરોપીઓ તેમના પતિ ચીમનભાઈની પાછળ દોડ્યા હતા. સવારના સમયે વાડી માલિકના દીકરાએ ભુતીયા ગામની સીમમાં પડતર જગ્યામાં ચીમનભાઈને બેભાન હાલતમાં પડેલા જોયા હતા. બાદમાં 108 મારફતે તેમને સિહોર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ઉમરાળા પોલીસ મથકમાં ત્રણ સામે ગુનોચીમનભાઈના માથાના ભાગે ગંભીર ઈજા તેમજ ગળાના ભાગે દોરી વડે દબાવવાના નિશાન મળી આવ્યા હતા. બનાવ અંગે ઉમરાળા પોલીસે દિલીપ લખમણભાઈ નાયક (રહે. વડેલાવ જિ. ગોધરા) તથા અન્ય બે અજાણ્યા શખસ સામે BNS કલમ 103(1), 352, 351(3), 54 તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર:3 મહામંત્રી, 8 ઉપપ્રમુખ સહિત 48 હોદ્દેદારની નિમણૂક
ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ તેના નવા સંગઠનની જાહેરાત કરી છે. આ નવી ટીમમાં કુલ 48 હોદ્દેદારોને વિવિધ પદો પર જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં 3 મહામંત્રી અને 8 ઉપપ્રમુખનો સમાવેશ થાય છે. પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ નિમણૂકો કરવામાં આવી છે. જાહેર થયેલી યાદી મુજબ, જિલ્લામાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને 8 મંત્રીઓની વરણી કરાઈ છે. આ ઉપરાંત, ભાજપના વિવિધ મોરચાઓના પ્રમુખોના નામોની પણ જાહેરાત કરવામાં આવી છે. મહામંત્રીના મહત્વના હોદ્દા માટે ભરૂચ શહેર સંગઠનના જીગ્નેશ મિસ્ત્રી, અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામના પરેશ પટેલ અને વાગરા વિસ્તારના નરેન્દ્રસિંહ પરમારના નામોની ઘોષણા કરવામાં આવી છે. જિલ્લા સંગઠનની નવી ટીમ જાહેર થતાં જ કાર્યકરોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. કેટલાક કાર્યકરોમાં ખુશીનો માહોલ હતો, જ્યારે અમુકમાં અસંતોષ પણ વ્યક્ત થયો હતો. આ જાહેરાત એવા સમયે થઈ છે જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી બદલાશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે નવી ટીમમાં પ્રમુખ પ્રકાશ મોદીની નજીક ગણાતા આગેવાનોને વધુ પ્રાથમિકતા આપવામાં આવી છે.
દેશમાં આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ મહાપાલિકાનાં પદાધિકારીઓ દ્વારા આજે મનપા સંચાલિત સીટીબસો અને બીઆરટીએસ બસોમાં મહિલાઓ માટે તદ્દન ફ્રીમાં મુસાફરીની ભેંટ આપવામાં આવી છે. જેને લઈ સવારથી શહેરના અલગ અલગ રૂટો પર મોટા પ્રમાણમાં યુવતિઓ અને મહિલાઓએ મનપાની આ ભેંટનો લાભ ઉઠાવ્યો હતો. અને મનપાની આ વ્યવસ્થાની પ્રશંસા કરી હતી. તેમજ આ સિટિબસ સેવાથી રીક્ષા ભાડાનાં રૂપિયાની બચત થતી હોવાનો દાવો કર્યો હતો. બીજીતરફ જનાના હોસ્પિટલમાં આજે જન્મ લેનાર તમામ બાળકીઓને પૂર્વ કોર્પોરેટર વિજય વાંક દ્વારા સોનાની ચૂંક, ગુલાબનું ફૂલ અને શુદ્ધ ઘી સહિતની ભેંટ આપી મહિલા દિવસની સાવ અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સીટી બસમાં નિઃશુલ્ક મુસાફરીનો લાભ લેનાર મહિલા હસીનાબેનએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે રાજકોટ મનપા દ્વારા આજે મહિલા દિવસ નિમિત્તે બહેનોને ફ્રી મુસાફરીનો લાભ અપાઈ રહ્યો છે, તે ખૂબ સારી બાબત છે. મનપાની આ સુવિધાથી બહેનોને મોટી મદદ મળે છે. અને રીક્ષાનાં ભાડાની બચત થાય છે. કોર્પોરેશન દ્વારા મહિલા દિવસ ઉપરાંત રક્ષાબંધન અને ભાઇબીજનાં તહેવારે પણ આ ભેંટ આપવામાં આવે છે. જેનો શહેરની મહિલાઓ મોટી સંખ્યામાં લાભ લે છે. આ સિવાય પણ વિદ્યાર્થીઓ માટે પાસ અને સિનિયર સીટીઝનો માટે કાયમી ફ્રી મુસાફરી આપવામાં આવે છે જે ખરેખર ખૂબ સારી બાબત છે. જોકે મહિલાઓ માટે કાયમી નિઃશુલ્ક મુસાફરી આપવી યોગ્ય નહીં હોવાનું તેમણે જણાવ્યું છે. રાજકોટની જનાના હોસ્પિટલમાં પૂર્વ કોર્પોરેટર તેમજ સનાતન ધર્મરક્ષક સમિતિનાં પ્રમુખ વિજય વાંક તેમની ટીમ સાથે પહોંચ્યા હતા. અને આજે જન્મ લેનાર બધી બાળકીઓને સોનાની ચૂંક, ગુલાબનું ફૂલ અને શુદ્ધ ઘી સહિતની ભેંટ આપી મહિલા દિવસની ઉજવણી કરી હતી. વિજય વાંક દ્વારા છેલ્લા 9 વર્ષથી મહિલા દિવસે જન્મ લેનાર બાળકીઓને આ ભેંટ આપવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે પણ ગિફ્ટ આપવામાં આવતા જનાના હોસ્પિટલમાં બાળકીને જન્મ આપનાર માતા અને તેમના પરિવારમાં ખુશીનો માહોલ જોવાયો હતો. આ સાથે સોનાનો ભાવ ગમે તેટલો થાય પોતે જીવિત છે ત્યાં સુધી દરવર્ષે આ સતકાર્ય કરતા રહેવાની ખાતરી પણ તેમણે આપી હતી. આ તકે વિજય વાંકે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, મારા પિતા અને દાદા પણ સમૂહલગ્ન સહિતના વિવિધ સેવકાર્યો કરતા હતા. જે અંતર્ગત હું પણ છેલ્લા 9 વર્ષથી મહિલા દિવસે જન્મ લેનાર બાળકીઓને સોનાની ચૂંક, ગુલાબનું ફૂલ અને શુદ્ધ ઘીની ભેંટ આપું છું. ડિલિવરીમાં મહિલાઓને વધુ પડતું બ્લીડીંગ થતું હોવાથી શુદ્ધ ઘી ખૂબ અસરકારક રહે છે. અમારી પોતાની ગૌશાળા હોય તદ્દન શુદ્ધ ઘી આપવામાં આવે છે. જેનાથી મહિલાઓ ઝડપી રિકવર થઈ શકે છે. દરવર્ષે 30-40 કરતા વધારે બાળકીઓ સરકારી હોસ્પિટલમાં જન્મે છે. અને તમામ બાળકીઓને આ ભેંટ આપવામાં આવે છે. જે અંતર્ગત આજે પણ જન્મ લેનાર બાળકીઓને આ ભેંટ અપાઈ છે. આવનારા સમયમાં પણ આ પ્રથા ચાલુ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મનપા દ્વારા મહિલા દિવસ ઉપરાંત રક્ષાબંધન તેમજ ભાઈબીજનાં દિવસે તમામ મહિલાઓને મહાનગરપાલિકા સંચાલિત સીટી બસોમાં નિ:શુલ્ક બસ સેવાનો લાભ આપવામાં આવતો હોય છે. અને મોટા પ્રમાણમાં મહિલાઓ પણ આ દિવસોમાં સીટી બસનો ઉપયોગ કરતી હોય છે. આજે બપોર સુધીમાં વિવિધ રૂટ પર મળી અંદાજે 400 કરતા વધુ મહિલાઓ લાભ લઇ ચુકી છે. અને સાંજ સુધીમાં કદાચ 1000થી પણ વધુ બહેનો આ સુવિધાનો લાભ ઉઠાવે તેવી શક્યતા છે.
સુરતમાં ડિંડોલી ખાતે રહેતી બી.કોમની બે વિદ્યાર્થિનીના સણિયા કણદે ખાતે આવેલા નવનિર્મિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી મૃતદેહ મળતા ચકચાર મચી ગઇ હતી. બહેનપણીઓના મૃતદેહ પાસેથી ઈન્જેક્શન અને એનેસ્થેસિયાની દવાની બોટલો મળી આવી હતી. પોસ્ટમોર્ટમ દરમિયાન બંનેએ એનેસ્થેસિયાના ઓવરડોઝ દવાના ઈન્જેક્શનો લઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. તેઓએ ક્યાં કારણોસર આપઘાતનું પગલું ભર્યું તે હાલ અકબંધ રહ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યા મુજબ બાથરૂમની અંદર પ્રવેશ કર્યા બાદ બંનેએ એનેસ્થેસિયાનું ઇન્જેક્શન ડાબા હાથ પર માર્યું હતું અને ત્યારબાદ રોશનીની ઉપર જ્યોત્સના ઢળી પડી હતી અને બંનેના મોત નીપજ્યા હતા.આ સમગ્ર ઘટનામાં 11 મહિના પહેલા બનેલી એક ઘટના પરથી બંને કોલેજીયન ગર્લ આપઘાત કરવાનું શીખી હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ જ્યોત્સનાની બેગમાંથી બંનેના ફોટોગ્રાફ પણ મળી આવ્યા છે. રોશનીના માતાપિતાની એક દિવસ પહેલા જ મેરેજ એનિવર્સરી હતી તેની ઉજવણીની અંતિમ તસવીર પણ સામે આવી છે. રોશની અને જોસના 6 તારીખે કોલેજ જવા નીકળ્યા બાદ ગુમ થઈ હતીમળતી માહિતી અનુસાર, મૂળ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના વતની અને હાલ ડીંડોલી વિસ્તારમાં આવેલ રામી પાર્કમાં રહેતી 18 વર્ષીય રોશની શરદભાઈ શિરશાઠ ઉધના ખાતે આવેલી સિટીઝન કોલેજમાં બી.કોમના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી. જ્યારે રોશનીના ઘર નજીક રહેતી બહેનપણી 20 વર્ષીય જોસના અતુલભાઈ ચૌધરી (રહે.શિવ વાટીકા, ડિંડોલી) અઠવાગેટ ખાતે આવેલી વાડિયા વુમેન્સ કોલેજમાં બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. ગત 6 માર્ચની સવારે નિત્યક્રમ મુજબ રોશની સ્કુટર લઈ જોસના સાથે કોલેજે જવા માટે નીકળી હતી. બાદમાં બપોરે કોલેજેથી ઘરે આવવાના સમયે બંને ઘરે નહી આવતા ચિંતામાં મુકાયેલા પરિવારે તેમને કોલ કર્યા હતા. ત્યારે આવીએ છીએ એવું જણાવ્યા બાદ તેમનો સંપર્ક જ થયો નહતો. બાદમાં પરિવારે શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેઓની કોઈ ભાળ મળી ન હતી. પરિવારે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ બંનેના મોબાઈલના લોકેશનના આધારે તપાસ કરતા સણિયા કણદે ખાતે આવેલા નવનિર્મિત આત્મીય સંસ્કારધામ સ્વામીનારાયણ મંદિરનું લોકેશન મળ્યું હતું. જેથી પોલીસે મદિરના પટાંગણમાં પ્રવેશ્તા રોશનીની મોપેડ દેખાઈ હતી. જેથી મંદિરમાં સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી હતી. મંદિરના બાથરૂમમાંથી બંને બહેનપણીઓના મૃતદેહ મળ્યાસીસીટીવી ફુટેજમાં બંને બહેનપણી બાથરૂમ તરફ જતી દેખાઈ હતી. જેથી પોલીસે તેમજ પરિવારના સભ્યોએ બાથરૂમમાં જઈને જોતા દરવાજો બંધ હતો. તેથી પરિવારના સભ્યોએ દરવાજો તોડીને અંદર જોતા બંને બેભાન અવસ્થામાં મળી આવી હતી. રોશની ઉપર જોસના પડી હતી અને મોઢામાંથી ફીણ નીકળેલી હાલતમાં હતી. જેથી રોશનીની સિવિલ હોસ્પિટલ અને જોસનાને સ્મીમેર હોસ્પિ.માં ખસેડાઈ હતી. જ્યાં બંનેને તબીઓએ બંનેને મૃત જાહેર કરી હતી. પોલીસને બાથરૂમમાંથી તેઓના મૃતદેહ પાસેથી ઈન્જેક્શન અને એનેસ્થીયાના ત્રણ દવાની બોટલ મળી આવી હતી. એક ખાલી અને બે ભરેલી બોટલ મળી હતી. પોલીસની તપાસમાં બંને બહેનપણીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. શું કહી રહ્યા છે તબીબ?એનેસ્થેસિયાનો ઓવરડોઝ લીધો હોવાની શક્યતા સ્મીમેર હોસ્પિટલના ડો. સંદિપ રાલોટીએ જણાવ્યુ હતું કે મૃતક પાસેથી એનેસ્થેસિયાનું અટ્રાક્યુરિયમ બેસીલેટ ઈન્જેક્શન મળી આવ્યું હતું. આ ઈન્જેક્શનના ઓવરડોઝથી વ્યક્તિનું મૃત્યું થઈ શકે. મૃતકે ઈન્જેક્શનનો ઓવરડોઝ લઈ આપઘાત કર્યો હોવાની શક્યતા છે. તમામ નમૂનાઓ લઈને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં વધુ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. બાથરૂમમાંથી મળી આવેલી બેગમાંથી અલગ અલગ વસ્તુઓ મળી આવીબંને બહેનપણી કોલેજ જવાના લીધે કોલેજ બેગ લઈને નીકળી ગઈ હતી. બાદમાં તેઓએ સણિયા કણદે ખાતે આવેલા સ્વામીનારાયણ મંદિરના બાથરૂમમાં જઈ બંનેએ પગલું ભરી લીધું હતું. જ્યાં બાથરૂમના વોશ બેસિન પર મુકેલ જોસનાના કોલેજ બેગમાંથી પૈસા, કેલ્ક્યુલેટર, દુપટ્ટો, મોબાઈલ ફોન તેમજ તેની સ્કુલ મિત્ર રોશની અને અન્ય મિત્ર સાથે પડાવેલ ફોટોગ્રાફની પાંચથી વધુ તસવીરો મળી આવી હતી. જ્યારે રોશનીના બેગમાંથી કેલ્ક્યુલેટર, મોબાઈલ ફોન, બુક, તેમજ હોળીના રંગ મળી આવ્યા હતા. આપઘાત પહેલા બંનેએ મોબાઈલમાં 'આપઘાત કેમ કરવો?' સર્ચ કર્યુંબંને બહેનપણીએ મોબાઈલમાં આપઘાત કરવા માટે સર્ચ કર્યું હતું. ચેટજીપીટી જેવા પ્લેટફોર્મ પર આપઘાત કઈ રીતે કરાઇ તે સર્ચ કરીને તેની જાણકારી પણ તેઓએ મેળવી હતી. તેમજ તેઓના ફોન ગેલેરીમાંથી ફોટોગ્રાફ મળ્યા હતા. તેમાં કઇ રીતે ઇન્જેક્શન મરાઈ તેની જાણકારીના ફોટો સેવ કરેલા હતા. બાદમાં બંને બહેનપણીએ એક સાથે અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસે એનેસ્થેસિયાની દવાની બોટલો તેમજ ઈન્જેક્શન ક્યાંથી ખરીધા તે દિશામાં તપાસ હાથ ધરી છે. રોશની અને જોસનાનું પોલીસ બનવાનું સપનું હતુંરોશની અને જોસના બંને ડીંડોલી ખાતે આવેલી માતૃભૂમિવિદ્યા સંકુલમાં ધોરણ-6 થી ધોરણ-12 સુધીનો સાથે અભ્યાસ કર્યો હતો. બંને બહેનપણી સ્કુલમાં હસી મજાક કરતા હતા અને અભ્યાસના સમયે અભ્યાસ કરતા હતા. બંનેને ધોરણ-12ની બોર્ડની પરીક્ષામાં આશરે 70 ટકાથી વધારે માર્ક આવ્યા હતા. તેમજ બંનેને પોલીસ બનવાનું સપનું હતું. બંને બહેનપણીએ કયા કારણોસર આપઘાતનું પગલું ભર્યું તે હાલ અકબંધ રહ્યું છે. મૃતક રોશનીના પિતાને વજન કાંટાનો વેપાર કરે છે. તેને અન્ય એક મોટો ભાઈ છે. જ્યારે જોસનાના પિતા સ્મીમેર હોસ્પિટલમાં લેબ ટેકનીશિયન છે. તેને અન્ય એક નાનો ભાઈ છે. આપઘાતના એક દિવસ પહેલા જ રોશનીના માતાપિતાની મેરેજ એનિવર્સરી હતીમૃતક રોશનનીના માતા-પિતાની ગત 5 માર્ચે એનિવર્સરી હોવાથી તેના મામા ઘરે આવ્યા હતા. રોશની અને તેના ભાઈએ કેક લાવી ઘરમાં એનિવર્સરીની ઉજવણી કરી હતી. બાદમાં સાંજે બધાએ જોડે બેસીને ઘરે જમ્યા હતા. તેના બીજા દિવસે 6 માર્ચે રોશનીએ તેની સ્કુલ મિત્ર જોસના સાથે ભરેલા આ અણધાર્યા પગલાથી બંને પરિવારમાં ગમગીનીનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. સંપૂર્ણ ઘટના ક્રમ 6 માર્ચ સવારે 7:00 : ઘરેથી બંને કોલેજ જવાનું કહીને નીકળી હતી. સવારે 7:44 : સણિયામાં આવેલા સ્વામી નારાયણ મંદિરના બાથરૂમમાં પહોંચી, એનેસ્થેસિયા લીધું. બપોરે 4:00 : દીકરીઓ ઘરે ન આવતા પરિવારજનો ડિંડોલી પોલીસ મથકમાં પહોંચ્યા રાત્રે 9:00 : લોકેશનના આધારે શોધખોળ કરતા મંદિર નજીક મોપેડ મળી આવ્યું. 7 માર્ચ રાત્રે 12:14 : બંનેના મૃતદેહ મંદિરના બાથરૂમમાંથી મળી આવ્યા હતા. કઈ ઘટના પરથી આપઘાત કરવાનું શીખી?આપઘાત કરનાર વિદ્યાર્થીનીના મોબાઇલમાંથી એક 11 મહિના પહેલા કરવામાં આવેલા આપઘાતનું પ્રેસ કટીંગ પણ મળી આવ્યું હતું. આપઘાતની ઘટના પરથી તેણે એનેસ્થેશિયાનું ઇન્જેક્શન લઈને આપઘાત કરવાનો નિર્ણય કર્યો હતો. જે સમગ્ર ઘટના એવી છે કે, ગત 7 એપ્રિલ 2025ના રોજ સુરતમાં કિરણ હોસ્પિટલની નર્સે ડીંડોલીની હોટલમાં એનેસ્થેસીયાનું જાતે ઈન્જેક્શન લઈ આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે નવી સિવિલમાં ખસેડાઈ હતી. જો કે તેણીનું હોસ્પિટલમાં સારવાર મળે એ પહેલા જ રસ્તામાં પ્રાણપંખેરુ ઉડી ગયાં હતાં. મૂળ તેલંગાણા રાજ્યનાં વારંગલ નગરનાં વતની શંકરભાઈ ગુડા હાલમાં સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલી ગ્રીન સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેઓ પોતે સંચા મશીન પર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની દીકરી 23 વર્ષીય શ્રુતિ કિરણ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે કામ કરતી હતી. શ્રુતિએ 7 એપ્રિલના રોજ બપોરે ડીંડોલીમાં જી-9 બિઝનેસ સેન્ટરમાં આવેલી વેલાન્ટાઈન ડોટલમાં જઈ જાતે જમણાં હાથમાં એનેસ્થેસીયાનાં ઓવર ડોઝનું ઈન્જેકશન લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. શ્રુતિએ આપઘાતનો પ્રયાસ કરતાં આસપાસના લોકોએ એમ્બ્યુલન્સને બોલાવી હતી. બાદમાં તેણીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરનાં તબીબે તેણીને મૃત જાહેર કરી હતી. મૃતક યુવતી હોટલમાં એકલી જ આવી હતી. અને બાદમાં તેણીએ એનેસ્થેસીયાનાં ઓવર ડોઝનું ઈન્જેકશન મારી લીધું હતું.
સાળંગપુર ખાતે યોજાનારા ફૂલદોલ ઉત્સવ પૂર્વે ગઢડા BAPS મંદિરે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો છે. આજે સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડ્યા હતા. ગઢડા શહેરમાં ટેકરા પર આવેલા આ પ્રસાદીના BAPS મંદિરમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી તેમજ બહારગામથી હરિભક્તો પહોંચ્યા હતા. ભક્તોએ ભગવાનના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. મહત્વપૂર્ણ છે કે, સાળંગપુર ખાતે આજે બપોર બાદ BAPS સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં ભવ્ય ફૂલદોલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવમાં ભાગ લેવા આવેલા અનેક ભક્તો પહેલા ગઢડા મંદિર પહોંચીને દર્શન કરી રહ્યા છે. હાલ ગઢડા શહેરમાં ભક્તિમય માહોલ છવાયો છે અને શ્રદ્ધાળુઓ ઉત્સાહપૂર્વક દર્શનનો લાભ લઈ રહ્યા છે.
સુરત પોલીસ કમિશનર કચેરીમાં દારૂ-ડ્રગ્સ પર ચર્ચા:વ્યસનના મૂળ કારણો અને યુવા માનસિકતા પર ભાર
સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે દારૂ અને ડ્રગ્સબંધી અંગે એક મહત્વપૂર્ણ ચર્ચા યોજાઈ હતી. આ ચર્ચામાં SOG ટીમના સભ્ય એ.પી. ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર પ્રતિબંધ મૂકવાને બદલે, વ્યસની વ્યક્તિઓની માનસિકતા અને વ્યસન પાછળના મૂળ કારણો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો હતો. ચર્ચા દરમિયાન, યુવાનો શા માટે આવા વ્યસનો તરફ આકર્ષાય છે અને તેમને દારૂ કે ડ્રગ્સ લેવાની જરૂર કેમ પડે છે તેવા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા. નશામાં એવી કઈ મજા છે જે તેમને સામાન્ય જીવનમાં નથી મળતી અને જો તેઓ નશો ન કરે તો તેમને શું થાય છે, તેવા પાસાઓ પર ઊંડાણપૂર્વક વિચારણા કરવામાં આવી. નિષ્ણાતોએ ભારપૂર્વક જણાવ્યું કે જો આ મૂળ કારણો પર કામ કરવામાં આવે તો જ દારૂ અને ડ્રગ્સના વ્યસનને અસરકારક રીતે અટકાવી શકાય છે. આજની યુવા પેઢી પાસે આટલી સુવિધાઓ હોવા છતાં તેઓ આટલી પીડામાં કેમ છે અને ખુશ કેમ નથી તેવા પ્રશ્નો પર પણ ગંભીરતાથી વિચારણા કરવામાં આવી. ચર્ચામાં એ પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો કે યુવાનો પરિવારમાં ખુલીને વાત કેમ નથી કરી શકતા. આજના શિક્ષણમાં એવું શું ઘટે છે જે તેમને માનસિક રીતે મજબૂત નથી બનાવી શકતું? વર્તમાન સમયમાં લગ્નજીવનના કિસ્સાઓ જોઈને યુવાનોને લગ્ન ન કરવાની ઈચ્છા કેમ થાય છે અને દીકરા-દીકરીઓને ઘરેથી ભાગીને લગ્ન કેમ કરવા પડે છે, તેવા સામાજિક મુદ્દાઓ પર પણ વિચાર વિમર્શ થયો. આ તમામ ગંભીર પ્રશ્નો પર SOG ટીમ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી, જેનાથી સમગ્ર બાબતને સમજવા માટે એક નવો અને સાચો દ્રષ્ટિકોણ મળ્યો. ચર્ચાના અંતે, પોલીસ કમિશનરે ખાતરી આપી કે જ્યાં પણ જરૂર પડશે ત્યાં પોલીસ વિભાગ સંપૂર્ણ સહયોગ આપવા તૈયાર છે.
વલસાડમાં સર્વાઈકલ કેન્સર સામે રસીકરણ કેમ્પ:કસ્તુરબા હોસ્પિટલ ખાતે દીકરીઓ માટે યોજાયો
વલસાડની કસ્તુરબા હોસ્પિટલ દ્વારા મહિલાઓમાં વધતા સર્વાઈકલ કેન્સરના જોખમને અટકાવવા માટે એક રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કિશોરીઓને ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ આપતી રસી આપવામાં આવી હતી. નિષ્ણાત તબીબોના મતે, સર્વાઈકલ કેન્સર મહિલાઓમાં થતા કેન્સરમાં બીજા ક્રમનું સૌથી સામાન્ય કેન્સર છે. જો 9 થી 14 વર્ષની દીકરીઓને સમયસર HPV વેક્સિન આપવામાં આવે, તો ભવિષ્યમાં આ જીવલેણ બીમારી સામે 90% થી વધુ સુરક્ષા મળી શકે છે. રસીકરણ કેમ્પમાં ઉપસ્થિત મહિલાઓને સમયસર બોડી ચેકઅપ કરવા અને સ્ત્રી રોગો અંગે જરૂરી માર્ગદર્શન અને માહિતીઓ આપવામાં આવી હતી. ગાયનેક ડોક્ટરે જરૂરી માહિતી આપી હતી આ કેમ્પ કસ્તુરબા હોસ્પિટલ, વલસાડ ખાતે યોજાયો હતો. તેનો મુખ્ય હેતુ 9 વર્ષથી વધુ વયની કિશોરીઓ અને યુવતીઓમાં જનજાગૃતિ ફેલાવવાનો અને તેમને સસ્તા દરે અથવા સરળતાથી રસી ઉપલબ્ધ કરાવવાનો હતો. કેમ્પ દરમિયાન હાજર તબીબોએ જણાવ્યું કે ભારતમાં દર વર્ષે હજારો મહિલાઓ આ કેન્સરને કારણે જીવ ગુમાવે છે. વેક્સિનેશન આ રોગને નાથવાનો સૌથી અસરકારક ઉપાય છે. વાલીઓએ પણ પોતાની દીકરીઓના સ્વસ્થ ભવિષ્ય માટે આ રસીકરણમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
પાટડીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી:શ્રી સુરજમલજી પ્રાથમિક શાળામાં વિવિધ રમતોનું આયોજન કરાયું
8મી માર્ચ, 2026ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પાટડીની શ્રી સુરજમલજી પ્રાથમિક શાળામાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનીઓ અને મહિલાઓને વિવિધ ક્ષેત્રોમાં આગળ વધવા પ્રોત્સાહિત કરવાનો હતો. આ પ્રસંગે શાળાના પટાંગણમાં રસ્સા ખેંચ અને સંગીત ખુરશી જેવી રમતોનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધાઓનું આયોજન શાળાની બાળાઓ, શિક્ષિકા બહેનો, સ્પોર્ટ્સ શિક્ષક નીરજભાઈ પટેલ અને અન્ય સ્ટાફ મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું. આયોજકોએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સુનિશ્ચિત કરી હતી. સ્પર્ધાઓના સમાપ્તિ બાદ, શાળાના આચાર્ય દીપકકુમાર શર્મા અને સ્ટાફ મિત્રો દ્વારા ભાગ લેનાર દરેક બાળાઓને પ્રોત્સાહન રૂપે પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવી હતી.
અમદાવાદના વિકાસમાં વધુ એક સીમાચિહ્ન ઉમેરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા વોર્ડમાં નવનિર્મિત વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું ભવ્ય લોકાર્પણ કર્યું છે. શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવતા આ વિસ્તારના રહીશો માટે આ પ્રોજેક્ટ આશીર્વાદરૂપ સાબિત થશે. લાંબા સમયથી પાણીના પ્રેશર અને પુરવઠાની અપેક્ષા રાખતા નાગરિકો માટે આ સ્ટેશન હવે કાર્યરત થઈ ગયું છે. રૂ. 55 કરોડનું આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરઅમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન અંદાજે રૂ. 55.31 કરોડના માતબર ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટની વિશેષતા તેની વિશાળ સંગ્રહ ક્ષમતા છે. અહીં 250 લાખ લીટરની ક્ષમતા ધરાવતી પંપહાઉસ સાથેની ભૂગર્ભ ટાંકી (Underground Tank) બનાવવામાં આવી છે. આ ઉપરાંત, પાણીના વિતરણને વધુ સુદ્રઢ બનાવવા માટે 25 લાખ લીટરની ક્ષમતાવાળી ઓવરહેડ ટાંકી પણ ઉભી કરવામાં આવી છે. આ સુવિધાના કારણે હવે વિસ્તારમાં પાણીના સ્ટોરેજ અને પ્રેશરની સમસ્યા ભૂતકાળ બની જશે. સવા લાખની વસતીને થશે સીધો ફાયદોઆ નવું વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન અંદાજે 4 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલી આશરે 1,25,000 જેટલી વસતીને આવરી લેશે. અત્યાધુનિક પંપિંગ મશીનરીના કારણે હવે છેવાડાના ઘર સુધી પૂરતા પ્રેશરથી પાણી પહોંચાડવામાં આવશે. ખાસ કરીને ગરમીના દિવસોમાં જ્યારે પાણીની માંગ વધે છે, ત્યારે આ વિશાળ સંગ્રહ ક્ષમતા નાગરિકોને રાહત આપશે. કયા વિસ્તારોને મળશે પાણી?આ લોકાર્પણ બાદ ઘાટલોડિયા વિસ્તારના અનેક મુખ્ય રહેણાંક વિસ્તારોમાં પાણીનો પુરવઠો સુધરશે. જેમાંઘાટલોડિયા ગામતળ અને ઘાટલોડિયા બ્રિજ આસપાસનો વિસ્તાર, પાવાપુરી ચાર રસ્તા, લક્ષ્મણગઢ ચાર રસ્તા અને સત્તાધાર ચાર રસ્તા, ભૂયંગદેવ ચાર રસ્તા સુધીનો સંપૂર્ણ પટ્ટો, કર્મચારીનગર, સી.પી. નગર, અર્જુન ટાવર અને સંસ્કૃત ફ્લેટ જેવા ઘાટલોડિયા ટી.પી-2ના વિસ્તારોનો સમાવેશ થાય છે. મહાનુભાવોની ઉપસ્થિતિઆ લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીની સાથે અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈન, ધારાસભ્ય હસમુખ પટેલ અને ડેપ્યુટી મેયર જતિન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી સહિત અન્ય મ્યુનિસિપલ પદાધિકારીઓ અને AMC કમિશનર બંછાનિધિ પાની સહિતના ઉચ્ચ અધિકારીઓએ પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક નાગરિકોએ પણ મોટી સંખ્યામાં હાજર રહી આ નવી સુવિધાને આવકારી હતી.
ભરૂચ તાલુકાના ભોલાવ ગામમાં અંદાજિત 80 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ થનારા કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ આ હોલનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ હોલ ગામલોકોને સામાજિક અને જાહેર કાર્યક્રમો માટે સુવિધા પૂરી પાડશે. આ કોમ્યુનિટી હોલ નર્મદા કોલોની સામે અને હરિકૃષ્ણ સોસાયટીની બાજુમાં આવેલા સ્થળે બનશે. તેના નિર્માણ બાદ ગામના વિવિધ સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો માટે તેનો ઉપયોગ થઈ શકશે. આ હોલના નિર્માણ માટે સાંસદ, જિલ્લા પંચાયત અને ધારાસભ્યની ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવશે. હોલનું નિર્માણ પૂર્ણ થયા પછી તેની જાળવણી, સંચાલન અને મેન્ટેનન્સની જવાબદારી ભોલાવ ગ્રામ પંચાયત સંભાળશે. આ સુવિધાથી ગામલોકોને લગ્ન પ્રસંગો, સામાજિક બેઠકો અને અન્ય જાહેર કાર્યક્રમો માટે યોગ્ય સ્થળ ઉપલબ્ધ થશે. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભાજપના મહામંત્રી નિરલ પટેલ, ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ નિમિષા પરમાર, ઉપસરપંચ યુવરાજસિંહ પરમાર, ગ્રામ પંચાયતના સભ્યો, ગામના આગેવાનો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગ્રામ વિકાસ અને ગામમાં સુવિધાઓ વધારવા માટેના પ્રયાસો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારના નાગરિકોની સુવિધામાં વધારો કરવાના હેતુથી એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે બોડકદેવ ખાતે નવનિર્મિત સબ-ઝોનલ ઓફિસનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવું વહીવટી કેન્દ્ર કાર્યરત થવાથી પશ્ચિમ અમદાવાદના રહીશો માટે સરકારી કામકાજ વધુ સરળ અને ઝડપી બનશે. સ્વ. બંસીભાઈ પ્રાણલાલ પટેલના નામે નામાભિધાનલોકાર્પણ સમારોહ દરમિયાન આ નવનિર્મિત ભવનને ‘સ્વ. બંસીભાઈ પ્રાણલાલ પટેલ’ સબ-ઝોનલ ઓફિસ તરીકે નામ આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ તકતીનું અનાવરણ કર્યા બાદ ઉપસ્થિત મહાનુભાવો સાથે ભવનનું નિરીક્ષણ કર્યું હતું અને ઉપલબ્ધ સુવિધાઓની જાણકારી મેળવી હતી. નાગરિકોના સમય અને શક્તિની થશે બચતઅત્યાર સુધી બોડકદેવ અને તેની આસપાસના વિસ્તારના નાગરિકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનને લગતા વિવિધ કામો માટે મુખ્ય ઝોનલ ઓફિસ સુધી લાંબા થવું પડતું હતું. પરંતુ હવે આ સબ-ઝોનલ ઓફિસ શરૂ થવાથી સ્થાનિક રહીશોને વહીવટી કામકાજ માટે દૂર જવું પડશે નહીં. આ વ્યવસ્થાથી નાગરિકોના સમય અને શક્તિની મોટી બચત થશે અને વહીવટી પ્રક્રિયામાં પારદર્શિતા અને વેગ આવશે. અદ્યતન માળખાગત સુવિધાઓથી સજ્જ ભવનઆ નવનિર્મિત ભવનમાં નાગરિકો માટે તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અહીં મુખ્યત્વે નીચે મુજબની સેવાઓનો લાભ મળશે: ટેક્સ કલેક્શન: પ્રોપર્ટી ટેક્સ સહિતના વિવિધ વેરાઓની ચૂકવણી માટે ખાસ કાઉન્ટર્સ. સિવિક સેન્ટર: જન્મ-મરણના દાખલા, ગુમાસ્તાધારા અને અન્ય વહીવટી સેવાઓ. વહીવટી ઓફિસ: મ્યુનિસિપલ તંત્રને લગતી વિવિધ ફરિયાદો અને અરજીઓનો નિકાલ. મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિઆ લોકાર્પણ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈન, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની તેમજ સ્થાનિક ધારાસભ્યો અને સંગઠનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓની બહોળી હાજરીમાં આ ભવન જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ સુવિધા પશ્ચિમ અમદાવાદના વહીવટી માળખાને વધુ મજબૂત બનાવવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.
અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણીના પડઘમ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રવિવારે પોતાના મત વિસ્તારમાં કરોડોના વિકાસ કામોની ભેટ ધરી છે. SG હાઈવે પર ગુરુદ્વારા પાસે પશ્ચિમ વિસ્તારના રહીશોની સુવિધા માટે સબ ઝોનલ ઓફિસનું લોકાર્પણ કરવાની સાથે ઘાટલોડિયામાં રૂ. 5.31 કરોડના ખર્ચે નવનિર્મિત શહેરની સૌથી મોટી 2.50 કરોડ લિટર ક્ષમતાની ભૂગર્ભ પાણીની ટાંકી જનતા માટે ખુલ્લી મૂકી છે. આ પ્રોજેક્ટથી ઘાટલોડિયા અને આસપાસના 1.25 લાખથી વધુ નાગરિકોને હવે પૂરતા પ્રેશરથી પીવાનું શુદ્ધ પાણી મળશે. લોકાર્પણ બાદ મુખ્યમંત્રીએ સ્થાનિક રહીશો સાથે રૂબરૂ મુલાકાત કરી તેમના ખબર-અંતર પૂછતા કાર્યકરો અને જનતામાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ગુરુદ્વારા ખાતે નવી સબ ઝોનલ ઓફિસ બનાવવામાં આવીસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને બોડકદેવ વોર્ડના કોર્પોરેટર દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, નાગરિકોને કોર્પોરેશનને લગતી સેવાઓનો વધુ સારી રીતે લાભ મળે અને તેમને નજીકમાં ઝોનલ ઓફિસ મળી રહે તેના માટે એસજી હાઇવે ગુરુદ્વારા ખાતે નવી સબ ઝોનલ ઓફિસ બનાવવામાં આવી છે. જેનું નામાભિધાન સ્વ બંસીભાઈ પ્રાણલાલ પટેલ રાખવામાં આવ્યું છે. કલેક્ટર સાથે સંકલન કરી વર્ષો જુના દબાણો દૂર કર્યા હતાડેપ્યુટી મેયર અને ઘાટલોડિયા વોર્ડના કોર્પોરેટર જતીન પટેલ તેમજ વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપ બગરીયાએ જણાવ્યું હતું કે, ઉતર-પશ્ચિમ ઝોનનાં ઘાટલોડીયા વોર્ડમાં આવેલી ગામતળ ટાંકી જર્જરિત થઈ ગયેલી હોવાથી અને લક્ષ્મણગઢ ટેકરા વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાંથી આપવામાં આવતો સ્ટેગર્ડ સપ્લાય બંધ કરવા નવું વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવું જરૂરી હતું. ઘાટલોડીયા વોર્ડમાં ટી.પી.-2 વિસ્તારમાં માળખાગત સુવિધાઓ માટે કોઈ પ્લોટ ઉપલબ્ધ ન હોવાથી ટી.પી.-2માં આવેલા ફાયનલ પ્લોટ નં.-51 જે કલેક્ટર હસ્તક હતો. તેનું પઝેશન મેળવવા કલેક્ટર સાથે સંકલન કરી તેમાંથી વર્ષો જુના દબાણો હતા જેને દૂર કર્યા હતા. 25 લાખ લીટર ક્ષમતાની ઓવરહેડ ટાંકી સાથે નવું વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનકલેક્ટર પાસેથી પઝેશન મેળવી નવું વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું. જેના માટે કલેક્ટર જોડેથી પ્લોટનું પઝેશન મેળવવા માટે રૂ. 1.26 કરોડ સીટી મામલતદાર ઘાટલોડીયા ખાતે જમા કરાવી દીધા હતા અને પજેશન મેળવ્યું હતું. ઘાટલોડીયા ટી.પી.-2. ફાયનલ પ્લોટ નં.-51માં રૂ. 55.31 કરોડના ખર્ચે અમદાવાદ શહેરમાં અત્યાર સુધી બનાવવામાં આવેલી ટાંકીઓ પૈકી મોટામાં મોટી ક્ષમતાની એટલે કે 250 લાખ લીટર ક્ષમતાની પંપહાઉસ સાથેની ભૂગર્ભ ટાંકી તથા 25 લાખ લીટર ક્ષમતાની ઓવરહેડ ટાંકી સાથે નવું વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવામાં આવ્યું છે. CMએ સ્થાનિકો સાથે હાથ મિલાવી ખબર અંતર પૂછ્યાસદર નવું વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન કાર્યરત થયેથી સ્ટેગર્ડ સપ્લાય બંધ થશે અને આશરે 4 કિલોમીટર વિસ્તારમાં આશરે 1.25 લાખ જેટલી વસ્તીને પુરતા પ્રેસરથી પાણી પૂરું પાડી શકાશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મત વિસ્તારના ઘાટલોડિયાના સ્થાનિક નાગરિકોને પણ મળ્યા હતા. સ્થાનિક નાગરિકો સાથે તેમણે હાથ મિલાવ્યા હતા અને તેમના ખબર અંતર પૂછ્યા હતા.
હિંમતનગરમાં શ્યામ ફાગ મહોત્સવ યોજાયો:ભક્તો ઉમટ્યા, ભજન સમ્રાટોએ ભક્તિમય માહોલ બનાવ્યો
હિંમતનગરના કાંકણોલ સ્થિત સ્વાગત પાર્ટી પ્લોટમાં શનિવારે રાત્રે શ્રી શ્યામ સરકાર દ્વારા શ્રી શ્યામ ફાગ મહોત્સવનું આયોજન કરાયું હતું. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્યામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવમાં રાજસ્થાનના સુપ્રસિદ્ધ ભજન સમ્રાટ ભગવતજી સુથાર અને નરેશજી ભગવત હાજર રહ્યા હતા. બંને ગાયકોએ શ્યામ ભજનો અને ફાગોત્સવના ગીતો રજૂ કર્યા હતા, જેનાથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. કાર્યક્રમમાં શ્યામ બાબાની આરતી, ફૂલોની હોળી, ઇત્ર વર્ષા, અખંડ જ્યોત અને ભક્તિ સંગીત જેવા આયોજનો કરાયા હતા. ભક્તોએ આ ધાર્મિક અવસરનો લાભ લીધો હતો. શ્રી શ્યામ ભજન મંડળના સભ્યો અને સેવાભાવી કાર્યકરો દ્વારા આ આયોજન માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.
ગાંધીનગરના પોર-કુડાસણ રોડ પર આવેલા તુલસી પાર્ટી પ્લોટ પાસે રહેતા એક ખેડૂત પરિવારના બંધ મકાનમાંથી અજાણ્યા તસ્કરો ગણતરીના કલાકોમાં સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 6,85,000ની મત્તા ચોરી કરી ફરાર થઈ જતા અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હથ ધરી છે. પરિવાર ઘરે પરત ફરતા તાળુ તૂટેલું હતુગાંધીનગરના પોર ગામે રહેતા અને ખેતીકામ કરતા જશુજી પૂજાજી ઠાકોર 7 માર્ચના રોજ સવારે પોતાના પરિવાર સાથે જાસપુર ગામે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. સવારે આશરે 10 વાગ્યે તેઓ ઘરને તાળું મારીને નીકળ્યા હતા. બાદમાં લગ્ન વિધિ પતાવીને જ્યારે તેઓ બપોરે 3 વાગ્યાના અરસામાં પરત ફર્યા ત્યારે ઘરના મુખ્ય દરવાજાની જાળીનું લોક તૂટેલું જોવા મળતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. જશુજી અને તેમના પરિવારના સભ્યોએ ઘરમાં તપાસ કરતા તમામ સામાન વેરવિખેર હાલતમાં મળી આવ્યો હતો. ઘરમાં તપાસ કરતા દાગીના ગાયબ હતાં તસ્કરોએ ઘરના વચ્ચેના રૂમમાં રાખેલા પેટી પલંગ તેમજ છેલ્લા રૂમમાં રાખેલી લોખંડની તિજોરીને નિશાન બનાવી જશુજીના પુત્રવધૂના સોનાની કાનની બુટી અને શેર કિંમત રૂ.1.40 લાખ, સોનાનું બાજુબંધ લોકેટ કિંમત રૂ. 3.50 લાખ તેમજ અંદાજે 500 ગ્રામ વજનનો ચાંદીનો જુડો કિંમત રૂ. 1.20 લાખ તેમજ 75 હજારની રોકડ રકમ પણ ગાયબ હતી. ગણતરીની કલાકોમાં 6.85 લાખની મત્તા ચોરી ફરારમાત્ર પાંચ કલાકના ગાળામાં તસ્કરો ધોળા દિવસે મકાનમાંથી દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા 6.85 લાખની મત્તાની ચોરીને અંજામ આપી નાસી જતા જશુજીએ પોલીસને જાણ કરી હતી. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં રાત્રિના સમયે ભાજપના યુવા નેતાઓ નશાની હાલતમાં બિભત્સ વર્તન કરતા લોકોએ એકઠા થઈ મેથીપાક ચખાડ્યો હતો. ભારે હંગામો મચતા પોલીસ પણ આવી પહોંચી હતી. વિકી ત્રિવેદી નામના નેતાએ પોલીસ સ્ટેશનમાં પણ પોલીસ પર રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પીધેલી હાલતમાં બીભત્સ વર્તન કરતા લોકોએ કાંઠલો પકડી મેથીપાક ચખાડ્યોશહેરના બાપુનગરના બોમ્બે હાઉસિંગમાં રહેતો વિકી ત્રિવેદી ભાજપમાં પ્રદેશ આમંત્રિત કારોબારી સભ્ય, ગીર સોમનાથ જિલ્લાના યુવા મોરચાનો સહ પ્રભારી અને શહેરમાં ટ્રાફિક કમિટીમાં પ્રમુખનો હોદ્દો ધરાવે છે.5 માર્ચના રોજ વિકી ત્રિવેદી ગાડી લઈને સરસપુર આવ્યો હતો જેમાં આગળ શહેર ટ્રાફિક કમિટીના પ્રમુખનું બોર્ડ પણ લાગ્યું હતું. સરસપુરના ખાવાડમાં વિકી દારૂ પીધેલી હાલતમાં બીભત્સ વર્તન કરી રહ્યો હતો. સ્થાનિકોએ રકઝક કરી છતાં વિકી બીભત્સ વર્તન કરી રહ્યો હતો. જેથી સ્થાનિકોએ વિકીને મેથીપાક ચખાડ્યો હતો એટલું જ નહીં પોલીસને પણ જાણ કરી હતી.શહેર કોટડા પોલીસ સ્થળ પર પહોચી હતી.પોલીસે સ્થળ પરથી વિકિની અટકાયત કરી હતી.વીકીને શહેર કોટડા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનમાં પોલીસ પર રોફ જમાવવાનો પ્રયાસ કર્યોપોલીસ સ્ટેશન પહોંચીને પણ વિકી પોલીસ સ્ટેશનમાં પોલીસની સામે બીભત્સ વર્તન કરી રહ્યો હતો.વિકીના મોઢામાંથી દારૂની ગંધ આવતી હતી.વિકી ભાનમાં પણ નહતો અને લથડિયા ખાતો હતો.પોલીસે વિકી સામે ગુનો નોધી ધરપકડ કરી હતી. આ સમાચાર પણ વાંચોઃપૂર્વ MLA હિંમતસિંહના ભાણિયાએ દારુ પીને ગાડી ચલાવી અકસ્માત કર્યો અમદાવાદ શહેરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલનો ભાણિયો વિશાલ ગુર્જર ગત(1 ફેબ્રુઆરી) રાત્રે દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો. મણિનગર પોલીસ સ્ટેશન પાસે વિશાલ ગુર્જરે દારૂ પીધેલી હાલતમાં ગાડી ચલાવી બે વાહનોને ટક્કર મારી હતી. લોકોના ટોળાએ વિશાલને મેથીપાક આપીને પોલીસને સોંપ્યો હતો.વિશાલ ગુર્જર યુથ કોંગ્રેસનો શહેર પ્રમુખ પણ રહી ચૂક્યો છે. જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. (સંપૂર્ણ સમાચાર વાંચો)
અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ધારાસભ્ય મહેશ કસવાલાના હસ્તે અમૃત-2.0 યોજના હેઠળ રૂ. 55 લાખના ખર્ચે ઓપનવેલ બનાવવાના કામનો પ્રારંભ થયો. આ ઓપનવેલ શેલ દેદુમલ ડેમ પાસે બનાવવામાં આવશે. ગુજરાત સરકારના સહયોગ અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા શહેરના નાગરિકોને કાયમી અને શુદ્ધ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી આ પગલું ભરવામાં આવ્યું છે. આ પ્રસંગે ધારાસભ્ય મહેશ કસવાલાએ જણાવ્યું હતું કે, સાવરકુંડલા શહેરના નાગરિકોને વર્ષભર પૂરતું અને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે, અમૃત-2.0 યોજના હેઠળ હાથ ધરાયેલું આ કામ શહેરની પાણી પુરવઠા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે. આ પ્રોજેક્ટથી આવનારા સમયમાં નાગરિકોને પાણીની સમસ્યામાંથી મોટી રાહત મળશે. સાવરકુંડલા શહેર માટે આ ઓપનવેલ પાણી પુરવઠા વ્યવસ્થામાં એક મહત્વપૂર્ણ કડી સાબિત થશે અને શુદ્ધ પીવાના પાણીની કાયમી સુવિધા સુનિશ્ચિત કરશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાના હોદ્દેદારો, સદસ્યો, અધિકારીઓ, શહેર ભાજપના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
બોટાદમાં કલેક્ટરથી તલાટી સુધી મહિલાઓનું નેતૃત્વ:મહત્વના વહીવટી અને પોલીસ પદો પર નારી શક્તિનો દબદબો
બોટાદ જિલ્લો મહિલા સશક્તિકરણનું જીવંત ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે. જિલ્લામાં કલેક્ટરથી લઈને ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ અને ગામના તલાટી સુધીના અનેક મહત્વપૂર્ણ પદો પર મહિલાઓ ફરજ બજાવી રહી છે. વહીવટી અને પોલીસ તંત્રમાં મહિલાઓનું નોંધપાત્ર યોગદાન જોવા મળે છે. જિલ્લા કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, પીઆઈ અને પીએસઆઈ જેવા ઉચ્ચ પદો પર મહિલા અધિકારીઓ કાર્યરત છે. આ ઉપરાંત, ગ્રામીણ સ્તરે પણ મહિલાઓ સક્રિય ભૂમિકા ભજવી રહી છે. અનેક ગામોમાં તલાટી તરીકે મહિલાઓ સેવા આપી રહી છે, જે ગ્રામ વિકાસમાં તેમનું મહત્વ દર્શાવે છે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં પણ મહિલાઓનું પ્રભુત્વ સ્પષ્ટ છે. જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ અને અનેક ગ્રામ પંચાયતોમાં સરપંચ તરીકે મહિલાઓ નેતૃત્વ સંભાળી રહી છે. આ રીતે, બોટાદ જિલ્લો મહિલાઓની ક્ષમતા, નેતૃત્વ અને સશક્તિકરણનું પ્રેરણાદાયક ચિત્ર રજૂ કરે છે.
પાલનપુર શહેરના વિકાસમાં આજે એક નવું છોગું ઉમેરાયું છે. રાજ્ય કક્ષાના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી દર્શનાબેન વાઘેલાએ નવનિર્મિત માનસરોવર તળાવનું ભવ્ય લોકાર્પણ કર્યું હતું. કેન્દ્ર સરકારની અમૃત 2.0 યોજના હેઠળ પાલનપુર નગરપાલિકા દ્વારા આ વિશાળ તળાવને આધુનિક ઢબે વિકસાવવામાં આવ્યું છે. આ પ્રકલ્પ પાલનપુરના પર્યાવરણ અને જળ સ્તર માટે આશીર્વાદરૂપ સાબિત થશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં પાયાની સુવિધાઓ વધારવા માટે અનેક યોજનાઓ કાર્યરત છે. અમૃત 2.0 યોજનાનો મુખ્ય હેતુ શહેરોમાં પાણીનું સંરક્ષણ, પર્યાવરણની જાળવણી અને નાગરિકોને સુવિધાજનક અને કુદરતી વાતાવરણ પૂરું પાડવાનો છે. માનસરોવર તળાવ આ જ વિઝનનો એક ભાગ છે, જે શહેરની સુંદરતામાં પણ વધારો કરશે. તળાવમાં પાણીની સતત ઉપલબ્ધતા જાળવી રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા સ્ટોર્મ વોટર પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ શહેરના વરસાદી પાણીનો વ્યય થતો અટકાવી તેને વ્યવસ્થિત રીતે માનસરોવર તળાવ સુધી પહોંચાડવા માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેના કારણે પાલનપુરના ભૂગર્ભ જળના સ્તરમાં પણ સુધારો જોવા મળશે. લોકાર્પણ પ્રસંગે મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, વિકાસ માટે સૌથી મહત્વપૂર્ણ બાબત ઈચ્છાશક્તિ છે. જો મજબૂત ઈચ્છાશક્તિ હોય તો જ અશક્ય લાગતા કાર્યો પણ શક્ય બને છે. તેમણે પાલનપુર નગરપાલિકાની ટીમને આ સુંદર કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ઉમેર્યું હતું કે પાલનપુર હવે અમદાવાદ જેવા આધુનિક શહેર તરીકે ઉભરવા તરફ આગળ વધી રહ્યું છે. આ પ્રસંગે મંત્રીએ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે તમામ બહેનોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ગૌરવ સાથે જણાવ્યું હતું કે ગુજરાત સરકારમાં 3 મહિલા મંત્રીઓ અને દેશના સર્વોચ્ચ રાષ્ટ્રપતિ પદ પર મહિલા આસીન છે, જે ભારતની વધતી જતી નારી શક્તિનું પ્રતીક છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જામનગર જિલ્લા હોમગાર્ડ્ઝ દળ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલાઓએ રક્ષણ અને નેતૃત્વના ક્ષેત્રે પોતાની ભૂમિકા દર્શાવી હતી. આ દિવસનું મુખ્ય આકર્ષણ હોમગાર્ડ્ઝ દ્વારા યોજાયેલી પરેડ હતી. આ પરેડની તમામ પ્લાટુનનું નેતૃત્વ મહિલા સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. આ પરેડ દ્વારા સુરક્ષા ક્ષેત્રે મહિલાઓની સમાન ભાગીદારી પ્રદર્શિત થઈ હતી. પરેડ બાદ જિલ્લા હોમગાર્ડ્ઝ કચેરી ખાતે એક સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં મહિલા હોમગાર્ડ્ઝના હસ્તે કેક કટિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહિલા કર્મચારીઓના સમર્પણ અને સેવાની પ્રશંસા કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાએ મહિલાઓને આત્મનિર્ભર બનવા અને સમાજમાં સમાન ભાગીદારી નોંધાવવા બદલ શુભકામનાઓ પાઠવી હતી. સ્ટાફ ઓફિસર પ્રેક્ષાબેન ભટ્ટે મહિલા શક્તિના મહત્વ પર ભાર મૂક્યો હતો અને તેમને દરેક ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમમાં સીટી યુનિટના અધિકારીઓ, હોમગાર્ડ્ઝના સભ્યો તેમજ મોટી સંખ્યામાં મહિલા હોમગાર્ડ્ઝ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
વાપી મહાનગરપાલિકા ₹650 કરોડનું બજેટ રજૂ કરશે:પંચાયતમાંથી મહાનગર બન્યા બાદ પ્રથમ ઐતિહાસિક બજેટ
વાપી મહાનગરપાલિકા નાણાકીય વર્ષ 2026-27 માટે આશરે ₹650 કરોડનું બજેટ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. કમિશનર યોગેશ ચૌધરીની ટીમ આ બજેટને અંતિમ સ્વરૂપ આપી રહી છે. અગાઉ પાલિકા કાળમાં ₹150 કરોડનું બજેટ હતું, તેની સરખામણીમાં આ બજેટનું કદ ચાર ગણું વધવાની શક્યતા છે. આગામી દિવસોમાં વહીવટદાર ભવ્ય વર્મા સમક્ષ વાપી મહાનગરપાલિકાનું બજેટ રજૂ કરાશે, જેમાં લોકો માટેની જોગવાઈઓની જાહેરાત કરવામાં આવશે. વાપી મહાનગરપાલિકામાં ચણોદ, ડુંગરા, બલીઠા અને સલવાવ સહિત કુલ 13 ગામોનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં હજુ પણ પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળે છે. નવા બજેટમાં આ ગામો માટે ગટર લાઈન, સ્ટ્રીટ લાઈટ અને પાકા રસ્તાઓ જેવી સુવિધાઓ માટે નોંધપાત્ર ફાળવણી થવાની શક્યતા છે. શહેરમાં GIDC ચાર રસ્તા અને મુખ્ય બજારોમાં ટ્રાફિકની સમસ્યા એક મોટો પડકાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બજેટમાં નવા ફ્લાયઓવર અથવા અંડરપાસ માટે મોટી જોગવાઈ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત, ઉનાળામાં પાણીની સમસ્યા હલ કરવા માટે નવા વોટર ટાંકા અને ફિલ્ટર પ્લાન્ટ પર પણ ભાર મૂકવામાં આવશે. બજેટ રજૂ થાય તે પહેલાં જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) એ આ બજેટ અંગે આક્રમક વલણ અપનાવ્યું છે. કોંગ્રેસના અગ્રણી સાગર બોગાએ જણાવ્યું હતું કે, મહાનગર બન્યા બાદ લોકોની અપેક્ષાઓ ઘણી ઊંચી છે, પરંતુ તંત્ર માત્ર કાગળ પર આંકડા દર્શાવે છે. રસ્તાઓ ખરાબ છે અને લાઈટો બંધ છે. જનતા પર વધારાનો આર્થિક બોજ ન લાદવો જોઈએ. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જીતુભાઈ દેસાઈએ કહ્યું હતું કે, વાપી એશિયાનું સૌથી મોટું ઔદ્યોગિક હબ હોવા છતાં સુવિધાઓમાં પાછળ છે. જો આ બજેટ ભ્રષ્ટાચારને પોષવા માટે હશે, તો અમે તેનો સખત વિરોધ કરીશું. આ બજેટમાંથી શહેરીજનોને ઘણી અપેક્ષાઓ છે. જેમાં ટ્રાન્સપોર્ટ માટે આઈકોનિક રોડ અને જંકશન ડેવલપમેન્ટ, સ્માર્ટ સિટી અંતર્ગત ફ્રી વાઈ-ફાઈ અને CCTV નેટવર્ક, પર્યાવરણ માટે 5 નવા ઓક્સિજન પાર્ક અને ગાર્ડનનું નિર્માણ, આરોગ્ય માટે હાઈટેક મ્યુનિસિપલ હોસ્પિટલ અને સ્માર્ટ સ્કૂલ્સ, તેમજ સફાઈ માટે ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનનું આધુનિકીકરણ મુખ્ય છે. આ ઉપરાંત, સિટી બસ નેટવર્કમાં વધારો અને નવા બસ સ્ટેન્ડ બનાવવાની પણ અપેક્ષા રાખવામાં આવી રહી છે. વેરા વધારાની તલવાર લટકી રહી છે?સામાન્ય નાગરિકોમાં સૌથી મોટો ભય ‘કોર્પોરેશન ટેક્સ’નો છે. મહાનગરપાલિકા બન્યા પછી વહીવટી ખર્ચ વધશે, જેને પહોંચી વળવા નવા વેરા ઝીંકવામાં આવે તેવી ભીતિ છે. જોકે, ભાજપ શાસિત પાલિકા ચૂંટણીલક્ષી ગણતરીઓ માંડીને વેરામાં રાહત આપે છે કે કેમ તે જોવું રહ્યું.
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલી જી.એમ. પટેલ કન્યા વિદ્યાલયની હોસ્ટેલમાં એક વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી છે. ધોરણ-11 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકની હિરલ નામની આ વિદ્યાર્થિની ધ્રોલની જી.એમ. પટેલ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. તે શાળાની જ હોસ્ટેલમાં રહેતી હતી. ગત રોજ હિરલે હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં જ હોસ્ટેલ સંચાલકો અને ધ્રોલ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે પ્રાથમિક પંચનામું કરી વિદ્યાર્થિનીના મૃતદેહને વધુ તપાસ અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. ધ્રોલ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે હોસ્ટેલના રૂમની તલાશી લીધી છે અને તેની સાથે રહેતી અન્ય વિદ્યાર્થિનીઓ તેમજ સ્ટાફના નિવેદનો લેવાની કાર્યવાહી હાથ ધરી છે. ભણવામાં તેજસ્વી એવી હિરલે આત્મઘાતી પગલું કેમ ભર્યું તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી છે કે કેમ તે અંગે પણ પોલીસે સત્તાવાર પુષ્ટિ કરી નથી.
આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે, આણંદ જિલ્લામાં વિવિધ સરકારી વિભાગોમાં ફરજ બજાવતી મહિલા અધિકારીઓ જિલ્લાના વિકાસ અને લોકકલ્યાણના કાર્યોમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. તેઓ રાજ્ય સરકારની યોજનાઓને અસરકારક રીતે અમલમાં મૂકી વહીવટીતંત્રને નવી દિશા આપી રહી છે. જિલ્લા પંચાયતમાં, જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતીના માર્ગદર્શન હેઠળ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી રૂબી સિંહ રાજપુત અને કિંજલ દેસાઈ વહીવટ સંભાળી રહ્યા છે. ગ્રામીણ શિક્ષણમાં અર્ચનાબેન પ્રજાપતિ, કુપોષણ મુક્ત આણંદ માટે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર તેજલબેન ગોસ્વામી, સમાજ કલ્યાણમાં વંદનાબેન સુતરીયા અને આરોગ્ય ક્ષેત્રે ડો. પૂર્વી નાયક સક્રિય છે. આંકડાકીય અને હિસાબી કામગીરીમાં કોકિલાબેન અંકોલીયા અને વર્ષાબા ઝાલા પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. જિલ્લાના વિકાસના મુખ્ય કેન્દ્ર સમાન કલેકટર કચેરીમાં પણ મહિલા અધિકારીઓનો સિંહફાળો છે. નાયબ કલેકટર હેતલબેન ભાલીયા અને જિલ્લા પુરવઠા અધિકારી જીજ્ઞા શાહ લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે કાર્યરત છે. ચૂંટણી પ્રક્રિયા અને એસ.આઈ.આર. જેવી જટિલ જવાબદારી અનિતાબેન લાછુન કુશળતાપૂર્વક નિભાવી રહ્યા છે. શિક્ષણ જગતમાં કામિનીબેન ત્રિવેદી અને રોજગાર ક્ષેત્રે મીનાક્ષી ચૌહાણ યુવાનોના ભવિષ્ય ઘડવામાં સતત કાર્યરત છે. વન વિભાગમાં એસીએફ પ્રિયંકાબેન જોષી અને આર.એફ.ઓ હેમાંગી મોદી પર્યાવરણના જતનનું કાર્ય કરી રહ્યા છે. નિલેશ્વરીબા ગોહિલ મહિલા અને બાળ વિકાસ માટે કાર્યરત છે. બાગાયત વિભાગમાં સ્મીતાબેન પિલ્લઈ, મત્સ્યોદ્યોગમાં બિંદિયા ઠક્કર, લેન્ડ રેકોર્ડ કચેરીમાં અવનીબેન ચૌહાણ અને એકતાબેન પટેલ તેમજ તિજોરી કચેરીમાં નિશાબેન સુવાગિયા જેવા મહિલા અધિકારીઓ તેમની કુશળતા સાબિત કરી રહ્યા છે. આણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નાયબ પોલીસ અધિક્ષક રિદ્ધિ ગુપ્તે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. ઇજનેરી ક્ષેત્રે માર્ગ અને મકાન વિભાગમાં કૃતિબેન જોશી અને નગરપાલિકાના વહીવટમાં નીલમબેન રોય કામગીરી કરી રહયાં છે. રાજ્ય વેરા કમિશનર ધૃતિબેન સોની અને તાલુકા વિકાસ અધિકારી જેનીબેન ગઢવી જેવા અધિકારીઓ મહેસૂલ અને વિકાસના કાર્યોને ગતિ આપી રહ્યા છે. આ તમામ મહિલા અધિકારીઓ ફિલ્ડ પર રહીને લોકકલ્યાણના કામોને વેગ આપી રહી છે. તેમની સક્રિયતા અને સમર્પણ ભાવના આણંદ જિલ્લામાં મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડે છે, જે દર્શાવે છે કે નારી શક્તિ પ્રત્યેક ક્ષેત્રમાં પોતાનું સામર્થ્ય પ્રસ્થાપિત કરી શકે છે.
અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની અફવાઓ અને રીલ્સ વાઇરલ થઈ રહી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી ફાઈનલ મેચ પહેલા કેટલાક લોકો સ્ટેડિયમને 'પનોતી' કહી રહ્યા છે, જેના કારણે ચાહકોમાં થોડીક ચિંતા પણ જોવા મળી રહી છે. આ વચ્ચે કેટલાક ક્રિકેટ પ્રેમીઓ પોતાના અંદાજમાં સ્ટેડિયમની નજર ઉતારતા વીડિયો બનાવી રહ્યા છે. કોઈ લીંબુ-મરચાંથી નજર ઉતારી રહ્યાં છે તો કોઈ આરતી કરીને ઘંટડી વગાડીને વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે. તુલિપ નામના એક ક્રિકેટ ચાહકે પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે લીંબુ-મરચાંથી નજર ઉતારતો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમણે વધુમાં કહ્યું કે હાલ સોશિયલ મીડિયા પર હિસ્ટ્રી રીપીટ, હિસ્ટ્રી ડિફીટ જેવી ટેગલાઇન ચાલી રહી છે. ભારત ફાઈનલમાં પહોંચીને હિસ્ટ્રી રીપીટ કરી રહ્યું છે અને જીત્યા પછી હિસ્ટ્રી ડિફીટ પણ કરશે તેવી આશા છે. 'બોલિંગમાં જસપ્રીત બુમરાહ ટીમ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે'મેચ વિશે પોતાની આગાહી આપતા તુલિપે કહ્યું કે, આ વખતે બેટિંગમાં અભિષેક શર્મા, સંજુ સેમસન અને હાર્દિક પંડ્યા મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જ્યારે બોલિંગમાં જસપ્રીત બુમરાહ ટીમ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે. ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, ફિન એલનથી થોડો ડર છે કારણ કે તેણે પહેલા 33 બોલમાં સદી ફટકારી હતી. સાથે જ સેન્ટનર, સાઈફર્ટ અને ડેરીલ મિચેલ પણ સારા ખેલાડી છે, પરંતુ આશા છે કે તેઓ ભારત સામે ખાસ પ્રદર્શન નહીં કરે. 'સ્ટેડિયમની લીંબુ-મરચાંથી નજર ઉતારી તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીશ'તુલિપે જણાવ્યું કે, તેઓ બાય પ્રોફેશન નોકરી કરે છે અને ક્રિકેટનો તેમને ખૂબ જ ક્રેઝ છે. તેમના ફેવરિટ ખેલાડીઓમાં પહેલા રાહુલ દ્રવિડ, પછી વિરાટ કોહલી અને હાલ હાર્દિક પંડ્યા તથા જસપ્રીત બુમરાહ છે. IPLમાં તેમની ફેવરિટ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ છે. તેઓ સ્ટેડિયમ પનોતી છે એવી વાતમાં માનતા નથી, પરંતુ સોશિયલ મીડિયાના કારણે લોકોના મનમાં ડર ઉભો થયો છે. મારો અને લોકોનો આ નાનકડો ડર દૂર કરવા માટે જ મેં સ્ટેડિયમની લીંબુ-મરચાંથી નજર ઉતારી છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીશ.
પાટણ પોલીસે વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળના સીસીટીવી કેમેરાની મદદથી એક મહિલાની ખોવાયેલી રોકડ અને મોબાઈલ ફોન ભરેલી બેગ શોધી કાઢી પરત કરી છે. આ બેગમાં ₹7,500 રોકડા અને એક મોબાઈલ ફોન હતો, જે મહિલાના એક્ટિવા પરથી પડી ગયો હતો. પાટણના સાંઈપ્લાઝા, ગીતાંજલી છાપરા પાછળ રહેતા ઈન્દિરાબેન ઠક્કર 5 માર્ચ, 2026ના રોજ સાંજના સમયે પોતાનું એક્ટિવા લઈને આદર્શ ટેલર્સ ખાતે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમના એક્ટિવા પર રાખેલી બેગ રસ્તામાં ક્યાંક પડી ગઈ હતી. બેગ ન મળતા તેમણે પાટણ સીટી બી ડિવિઝન પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે તાત્કાલિક નેત્રમ ટીમની મદદ લીધી અને વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સ્થાપિત સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા. ફૂટેજમાં એક અજાણ્યા વ્યક્તિને આ બેગ મળેલી હોવાનું સ્પષ્ટપણે દેખાયું હતું. આ માહિતીના આધારે, બી ડિવિઝન પોલીસની ટીમે સઘન તપાસ હાથ ધરી અને ગણતરીના સમયમાં રોકડ અને મોબાઈલ સાથેની બેગ શોધી કાઢી. પોલીસે આ બેગ અરજદાર ઈન્દિરાબેનને પરત કરી હતી. પોતાની ખોવાયેલી વસ્તુઓ પાછી મળતા તેમણે પોલીસ અને નેત્રમ ટીમનો આભાર માન્યો હતો. આ સફળ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી.મકવાણા, નેત્રમ ઇન્ચાર્જ પીએસઆઈ એચ.એસ.પટેલ, એએસઆઈ રાજાભાઇ રેવાભાઇ, હેડ કોન્સ્ટેબલ રાજેશભાઇ લાલાભાઇ અને નેત્રમ ટીમનો સમાવેશ થાય છે.
પાટણ કોર્ટે ચેક રિટર્ન કેસમાં સજા રદ કરી:રૂ. 30 લાખના ચેક રિટર્ન કેસમાં સમાધાન બાદ સજા રદ
પાટણ: ચેક રિટર્ન કેસમાં સજા પામેલા આરોપી અને મૂળ ફરિયાદી વચ્ચે સમાધાન થતાં પાટણની સેસન્સ કોર્ટે સજા રદ કરી છે. આરોપીને ચેકની રકમના પાંચ ટકા પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ (DLSA)માં જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સેસન્સ કોર્ટના જજ એમ.એ. શેખે સજા પામેલા આરોપી કમલેશ પટેલ દ્વારા સજા રદ કરવા માટે કરાયેલી અપીલને મંજૂર કરી હતી. કમલેશ પટેલે DLSAમાં ચેકના પાંચ ટકા રકમ જમા કરાવ્યા બાદ તેમને નિર્દોષ છોડવાનો હુકમ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાંથી મુક્ત કરવાનો અને પાટણ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા અપાયેલો સજાનો ચુકાદો રદ કરવાનો આદેશ આપ્યો હતો. જો આરોપીએ દંડ ભર્યો હોય તો તે ચકાસણી બાદ પરત આપવા પણ જણાવાયું હતું. આ કેસ 2014માં પાટણના કમલેશભાઈ પટેલ અને સરસ્વતીના ભીલવણના હમીદભાઈ વચ્ચે થયેલા જમીન સોદા સાથે સંબંધિત છે. વાગડોદ ખાતેની જમીનનો સોદો રૂ. 1 કરોડમાં થયો હતો. આ સોદા પેટે કમલેશભાઈ પટેલે અને તેમના ભાઈએ હમીદભાઈને રૂ. 30 લાખનો ચેક આપ્યો હતો. આ ચેક 4 જૂન, 2015ના રોજ અપૂરતા ભંડોળના અભાવે રિટર્ન થયો હતો. ચેક રિટર્ન થતાં હમીદભાઈએ કમલેશભાઈને નોટિસ આપી હતી અને બાદમાં પાટણ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. પાટણની જ્યુડિશિયલ કોર્ટે 12 ડિસેમ્બર, 2024ના રોજ કમલેશ પટેલને દોઢ વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ રૂ. 30 લાખ દંડ તરીકે 30 દિવસમાં ચૂકવવાનો આદેશ આપ્યો હતો. દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા ભોગવવાનો પણ આદેશ હતો. આ સજા વોરંટના આધારે કમલેશ પટેલ જેલમાં ગયા હતા. જેલમાં ગયા બાદ કમલેશભાઈએ એડવોકેટ પંકજ બી. વેલાણી મારફત સેસન્સ કોર્ટમાં અપીલ કરી હતી. અપીલકર્તા અને મૂળ ફરિયાદી વચ્ચે સમાધાન થઈ ગયું હોવાથી અને રકમ અંગે કોઈ વિવાદ ન હોવાથી, સેસન્સ કોર્ટે નીચલી કોર્ટના ચુકાદા અને આદેશને રદ કરીને કમલેશ પટેલને નિર્દોષ જાહેર કર્યા હતા.
રાજકોટ મહાપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા અંતે સરકારી મિલકતોનો બાકી વેરો વસૂલવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મનપા દ્વારા સરકારી વિભાગોને નોટિસ આપી વેરો ભરપાઈ કરવા તાકીદ કરવામાં આવી હતી, જેના પરિણામ સ્વરૂપ છેલ્લા 36 દિવસમાં સિવિલ હોસ્પિટલ, પીડબલ્યુડી, પીજીવીસીએલ જેવી મહત્ત્વની કચેરીઓ પાસેથી રૂ.3.63 કરોડનો બાકી વેરો વસૂલવામાં આવ્યો છે. માર્ચ એન્ડિંગ સુધીમાં આ આંકડો 10 કરોડને પાર થવાની શક્યતા છે. મનપાની આ કામગીરીને પગલે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન 1 એપ્રીલ, 2025થી 7 માર્ચ, 2026 સુધીમાં કુલ વસૂલાતનો આંકડો રૂ. 389 કરોડ પર પહોંચી ગયો છે. જોકે ચાલુ નાણાકીય વર્ષનાં અંત સુધીમાં રૂ. 450 કરોડની વસુલાત કરવાનો લક્ષ્યાંક છે, જે પૂરો થશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. ફેબ્રુઆરીમાં જ સરકારી વિભાગો દ્વારા રૂ. 2.49 કરોડની ચુકવણીરાજકોટ મહાનગરપાલિકાના વેરા વસુલાત વિભાગ દ્વારા હાલમાં શહેરભરમાં નોન-રેસિડેન્શિયલ, રેસિડેન્શિયલ અને કોમર્શિયલ મિલકતો પાસેથી વેરો મેળવવા માટે સઘન કાર્યવાહી ચાલી રહી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે સરકારી વિભાગો હસ્તકની મિલકતોના મિલકત વેરા અને પાણી ચાર્જિસની બાકી વિગતો મેળવીને વસૂલાત પ્રક્રિયા ઝડપી કરવામાં આવી હતી. ફેબ્રુઆરી માસમાં જ વિવિધ સરકારી વિભાગો દ્વારા કુલ રૂ. 2.49 કરોડની ચુકવણી કરવામાં આવી હતી. જેમાં પી.ડબલ્યુ.ડી દ્વારા રૂ. 65.47 લાખ, ગર્વનમેન્ટ ઓફ એન્જિનિયરિંગ કોલેજ દ્વારા રૂ. 58.61 લાખ અને PGVCL દ્વારા રૂ. 45.37 લાખની રકમ મનપાની તિજોરીમાં જમા કરાવાઈ હતી. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે પણ રૂ. 27.82 હજારનો વેરો ભર્યોઆ ઉપરાંત, સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા રૂ. 30.95 લાખ, જૂની કોર્ટ દ્વારા રૂ. 17.36 લાખ, નાયબ નિયામક કચેરી દ્વારા રૂ. 14.18 લાખ, યાંત્રિક ભવન દ્વારા રૂ. 11.00 લાખ અને મામલતદાર કચેરી (દક્ષિણ) દ્વારા રૂ. 6.43 લાખની ચુકવણી કરવામાં આવી હતી. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ રૂ. 27.82 હજારનો વેરો ભરવામાં આવ્યો છે. આમ, ફેબ્રુઆરી માસમાં સરકારી કચેરીઓ સામેની કડક કાર્યવાહીને લઈ મનપાને રૂ. 2. 49 કરોડની આવક થઈ હતી. સિવિલ હોસ્પિટલ દ્વારા રૂ. 74.65 લાખની મોટી રકમની ચુકવણીચાલુ માર્ચ માસમાં પણ આ ઝુંબેશ યથાવત રાખવામાં આવી છે. માર્ચના શરૂઆતના દિવસોમાં જ સિવિલ હોસ્પિટલ દ્વારા રૂ. 74.65 લાખની મોટી રકમની ચુકવણી કરવામાં આવી છે. તે સાથે સેન્ટ્રલ GST કચેરી દ્વારા રૂ. 17.65 લાખ, પોસ્ટ વિભાગ દ્વારા રૂ. 17.22 લાખ અને GMSCL દ્વારા રૂ. 4.85 લાખની રકમ ચૂકવવામાં આવી છે. આમ, ચાલુ માસમાં અત્યાર સુધીમાં કુલ રૂ. 1.14 કરોડની વસૂલાત માત્ર સરકારી મિલકતોમાંથી થઈ છે. સરકારી મિલકતોની વસુલાતનો આંકડો ચાલુ મહિનાના અંત સુધીમાં રૂ. 10 કરોડ કરતા વધુ થવાની શક્યતા છે. જૂના બાકી વેરાની સંપૂર્ણ રકમ ભરપાઈ કરનારને 10 હજાર સુધીની રાહતમહાનગરપાલિકા દ્વારા આ વર્ષે કરદાતાઓ માટે વિશેષ વ્યાજ માફી યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ જો કોઈ મિલકતધારક પોતાના જૂના બાકી વેરાની સંપૂર્ણ રકમ ભરપાઈ કરે છે, તો તેને મિલકત વેરાના વ્યાજ પર રૂ. 5000 અને પાણી વેરાના વ્યાજ પર રૂ. 5000 મળીને કુલ રૂ. 10,000 સુધીની રાહત મળી શકે તેમ છે. આ પ્રોત્સાહક યોજનાનો લાભ લેવા માટેની અંતિમ મુદત 31 માર્ચ, 2026 રાખવામાં આવી છે. નાગરિકોને આ ડિસ્કાઉન્ટ યોજનાઓનો લાભ લેવા અપીલમનપાના વેરા વસુલાત શાખાના મેનેજર વત્સલ પટેલનાં જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં જે ખાનગી કે વ્યાવસાયિક એકમોનો વેરો બાકી છે તેની સામે સીલિંગ અને મિલકત જપ્તી જેવી કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. ત્યારે નાગરિકોને આ ડિસ્કાઉન્ટ યોજનાઓનો લાભ લઈ સમય મર્યાદામાં પોતાનો વેરો ભરી દે, જેથી વ્યાજ અને દંડની રકમમાં રાહત મળી શકે તેવી અપીલ કરવામાં આવી છે. નોંધનીય છે કે, સરકારી મિલકતોનો રૂ. 90 કરોડથી વધુનો વેરો બાકી છે. જેની સામે માર્ચનાં અંત સુધીમાં કડક કાર્યવાહી છતાં રૂ. 10 કરોડથી વધુની વસુલાત થવાની ધારણા છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જેવી લાંબા સમયથી વેરો બાકી હોય તેવી સંસ્થાઓનો બાકી વેરો વસૂલવા ક્યારે અને શું પગલાં લેવાય છે તે તો આવનારો સમય જ બતાવશે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય લોકોના રૂ. 25-50 હજાર બાકી હોય તો સિલિંગ સહિતની કડક કાર્યવાહી કરતો વેરા વિભાગ સરકારી મિલકતોનાં કરોડો રૂપિયા બાકી હોવા છતાં સિલિંગ જેવી કડક કાર્યવાહી નિયમ મુજબ કરી શકતો નથી, જેના કારણે અનેક સરકારી મિલકતો દ્વારા લાંબા સમયથી માત્ર પત્રવ્યવહાર કરવામાં આવે છે પણ વેરો ભરપાઈ કરવામાં આવતો નથી. જોકે છેલ્લા બે મહિનાથી વેરા વિભાગ દ્વારા સરકારી વિભાગોને પણ નોટિસ આપી વેરો ભરપાઈ કરવા તાકીદ કરવામાં આવી હતી. જેના પરિણામે ટૂંકા ગાળામાં રૂ. 3.63 કરોડ જેવી વસુલાત થઈ છે. ત્યારે વેરા વિભાગ દ્વારા આ મામલે વધુ કડક પગલાં લેવાશે તો રૂ. 450 કરોડનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં મોટી મદદ મળશે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં આવેલી પાનોલી GIDC (ગુજરાત ઔદ્યોગિક વસાહત)માં રવિવારે (8 માર્ચ) સવારે એક ભીષણ આગની ઘટના બની હતી. પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ પ્રાઈવેટ લિમિટેડ નામની કેમિકલ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કંપનીનું નામ: સંઘવી ઓર્ગેનિક્સ પ્રાઈવેટ લિમિટેડ, પાનોલી GIDC. આગનું સ્વરૂપ: આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના કાળા ગોટેગોટા 5 થી 10 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાતા હતા. આગને પગલે તંત્ર દ્વારા 'મેજર કોલ' જાહેર કરવામાં આવ્યો હતો. કારણ: પ્રાથમિક માહિતી મુજબ, કંપનીમાં રહેલા અત્યંત જ્વલનશીલ કેમિકલ (ટોલ્વિન)ના ટેન્કમાં આગ લાગ્યા બાદ તે ઝડપથી સમગ્ર પ્લાન્ટમાં ફેલાઈ ગઈ હતી. કામગીરી અને બચાવ આગની જાણ થતા જ પાનોલી, અંકલેશ્વર અને ભરૂચના વિવિધ ફાયર સ્ટેશનોથી 10થી વધુ ફાયર ફાયટર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ લગભગ સાડા ત્રણ કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ ઓલવવા માટે પાણીની સાથે મોટા પ્રમાણમાં ફોમ (Foam)નો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. નુકસાન અને જાનહાની ભયનો માહોલ રવિવારની રજા હોવાથી કંપનીમાં કર્મચારીઓની સંખ્યા ઓછી હતી, જે મોટી દુર્ઘટના ટળવાનું એક કારણ માનવામાં આવે છે. છતાં, આગ દરમિયાન થયેલા પ્રચંડ ધડાકાઓને કારણે આસપાસના રહીશો અને અન્ય ઉદ્યોગકારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. હાલમાં ફાયર વિભાગ અને પોલીસ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના વુમન્સ સેલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગના ઓડિટોરિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન આપનાર મહિલાઓને 'મણિબેન પટેલ નારી રત્ન એવોર્ડ -2026' થી સન્માનિત કરવામાં આવી. એવોર્ડ વિજેતાઓમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એસ. વી. પિંટો (ન્યાય ક્ષેત્ર), નિમિષાબેન પંચાલ (મીડિયા ક્ષેત્ર), અને સેવા ક્ષેત્રમાંથી સુધાબેન પઢિયાર તેમજ નંદાબેન સોઢા પરમારનો સમાવેશ થાય છે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી કુલપતિ પ્રો. નિરંજન પટેલે જણાવ્યું હતું કે, મહિલાઓ રાષ્ટ્રની ધરી છે અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે નારી શક્તિનું યોગદાન અનિવાર્ય છે. આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રાધ્યાપકો દ્વારા લિખિત સંશોધન લેખોના પુસ્તક “Her વિશ્લેષણ: Vision to વ્યવહાર”નું વિમોચન કરવામાં આવ્યું. આ પુસ્તકમાં AI અને સાયબર સુરક્ષા, શિક્ષણ, રાજકારણ અને સ્વાસ્થ્ય જેવા વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેમાં 21મી સદીમાં AI દ્વારા મહિલા સશક્તિકરણ, NEP 2020 માં સ્ત્રીઓની સ્થિતિ અને રાજકારણમાં મહિલાઓની બદલાતી ભૂમિકા વિશે ગહન વિશ્લેષણ રજૂ કરાયું છે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઇરમાના પ્રો. માધવી મહેતાએ મહિલા ઉદ્યોગસાહસિકતા પર વિશેષ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, “Women Leading the World” વિષય પર એક પેનલ ડિસ્કશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાતોએ મહિલા ઉદ્યોગસાહસિકતાના પડકારો અને સફળતા વિશે સંવાદ કર્યો. શ્રીમતી આશાબેન દલાલે મહિલાઓ માટે AI દ્વારા ઊભા થતા પડકારો વિશે વિસ્તૃત માહિતી આપી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વુમન્સ સેલના સંયોજિકા પ્રોફેસર દર્શના દવેના માર્ગદર્શન હેઠળ ડૉ. કોમલ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમે યુનિવર્સિટીની યુવતીઓને સમાજમાં આગળ વધવા માટે નવું પ્રોત્સાહન પૂરું પાડ્યું.
8 માર્ચ, 2026એ દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ICC T20 વર્લ્ડ કપની ફાઈનલ રમાવાની છે, ત્યારે આ ફાઈનલ મેચ જોવા દેશના ખૂણેખૂણેથી ક્રિકેટ ફેન્સ, બોલિવૂડ સેલિબ્રિટી, દિગ્ગજ ક્રિકેટરો અને ઉદ્યોગપતિઓ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે. ઉલ્લેખનીય છે કે, બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમ એક દિવસ પહેલા જ અમદાવાદ આવી પહોંચ્યા હતા અને તેઓ આજે મેચ નિહાળવા મોદી સ્ટેડિમય પહોંચી જશે. તો બીજી તરફ મોટી સંખ્યામાં ક્રિકેટરસિકો મોદી સ્ટેડિયમ પહોંચશે જેને લઇને મોદી સ્ટેડિમય ક્રિકેટ ફેન્સથી હાઉસફૂલ થવાની શક્યતા છે. જોકે, ઈન્ટરનેશનલ પૉપ સુપરસ્ટાર રિકી માર્ટિન, પંજાબી પૉપ સિંગર સુખવીર અને ગરબા ક્વિન ફાલ્ગુની પાઠક T20 વર્લ્ડ કપની ક્લોઝિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે. આ પરફોર્મન્સ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ પહેલાં થશે.
લૂંટની ઘટના:ગંગાજળિયા સીટી બસ સ્ટેન્ડ પાસે ચા પીવા આવેલ યુવકને લૂંટી લેવાયો
શહેરના રાણીકા ભાંગના કારખાના પાસે રહેતા અને ભાવનગર મહાનગરપાલિકાની બાજુમાં આવેલ ગીતાંજલિ કોમ્પલેક્ષની પાસે બહારના ભાગે લોકોના જન્મ મરણ નોંધ અંગેના ફોર્મ ભરવાની કામગીરી કરતા જીતુભાઈ રવજીભાઈ યાદવ તેના મિત્ર મયુરભાઈ પડાયા સાથે ગંગાજળિયા તળાવ સીટી બસ સ્ટેશન પાસે તેને મળી ચા પીતા હતા. ત્યારે એક અજાણ્યા ઇસમે તેની પાસે આવી તેને પકડી લઈ છરી ગળે મૂકી દઈ તેને ગાળો આપી તેની પાસે જે હોય તે આપી દેવાનું કહી મારી નાખવાની ધમકી આપી તેની પાસે રહેલ રૂપિયા 8000 ની કિંમત નો મોબાઇલ તથા રોકડા રૂપિયા 250 બળજબરીપૂર્વક કઢાવી લઈ નાસી ગયો હતો. બાદમાં તેમને આ વ્યક્તિ અજય ઉર્ફે તકિયા રાજુભાઈ વાઘેલા હોવાનું જાણવા મળ્યું હતું.જે અંગેની ફરિયાદ ગંગાજળિયા પોલીસમાં નોંધાવી હતી.
સ્વદેશી મેળાનું આયોજન કરાયું:ગારિયાધારમાં સ્વદેશી મેળાનો પ્રારંભ
ગારિયાધાર શહેરના વેપારીઓ અને સ્વદેશી ઉત્પાદકોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ગારિયાધાર નગરપાલિકા દ્વારા સાપ્તાહિક સ્વદેશી મેળાનું આયોજન કરાયું છે. ગારિયાધાર તાલુકા શાળાના મેદાનમાં તા.7મી થી તા.13મી માર્ચ-2026 સુધી ચાલનારા સ્વદેશી મેળાને ગારિયાધાર નગરપાલિકાના મહિલા પ્રમુખે રીબીન કાપી ખુલ્લો મુક્યો હતો. ગારિયાધાર તાલુકા શાળાના મેદાનમાં સાપ્તાહિક સ્વદેશી મેળાના ઉદ્દઘાટન સમારોહમાં ગારિયાધાર નગરપાલિકાના પ્રમુખ મીનાબેન શૈલેષભાઈ બારૈયાના વરદ હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ગારિયાધાર ખાતેના સાપ્તાહિક સ્વદેશી મેળામાં ગારિયાધાર શહેરના વ્યાપારીઓના જુદા જુદા 30 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે. ગારિયાધારમાં સ્વદેશી મેળો સવારે 10 કલાક થી રાત્રે 10 કલાક સુધી ચાલુ રાખવામાં આવશે. સ્વદેશી મેળો-2026ના ઉદ્દઘાટન સમારોહમાં ગારીયાધાર નગરપાલિકા પ્રમુખ મીનાબેન શૈલેષભાઈ બારૈયા ઉપરાંત પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, જિલ્લા ભાજપ મહામંત્રી વી.ડી.સોરઠીયા , શહેર પ્રમુખ નિલેશભાઈ રાઠોડ સહિત ગારિયાધાર નગરપાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે ભાવનગર પોલીસ દ્વારા યુવતીઓમાં જાગૃતિ અને સશક્તિકરણ લાવવા માટે સ્વરા પ્રોજેક્ટ નામની નવી પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત ભાવનગરની ગાંધી મહિલા કોલેજમાં વિદ્યાર્થીનીઓ માટે વિશેષ સ્વરક્ષણ અને જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રોબેશનર એસપી મૌસમ મેહતા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવતીઓમાં આત્મવિશ્વાસ વધારવો, સાયબર જગતમાં સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવી તેમજ અજાણ્યા લોકો પર વિશ્વાસ કરતી વખતે સાવચેતી રાખવાની સમજણ આપવાનો હતો. કાર્યક્રમ દરમિયાન વ્યક્તિગત સીમાઓ નક્કી કરવાની જરૂરિયાત, સોશિયલ મીડિયા પર દેખાતી દુનિયા અને વાસ્તવિક જીવન વચ્ચેનો તફાવત તથા ડિજિટલ યુગમાં ઉભા થતા જોખમો અંગે પણ વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. વ્યાખ્યાન દરમિયાન વિદ્યાર્થીનીઓને સોશિયલ મીડિયા પર થતી ઓનલાઈન છેતરપિંડી, ફેક પ્રોફાઇલ, ભાવનાત્મક પ્રભાવ અને વિવિધ પ્રકારના સાયબર ફ્રોડ વિશે સરળ ભાષામાં માહિતગાર કરવામાં આવ્યા હતા. ‘સ્વરા’ એટલે કોઈ એક વ્યક્તિ નહીં, પરંતુ એવી દરેક સામાન્ય મહિલા કે જે પોતાના સ્વરક્ષણ માટે સજાગ રહે છે અને અન્યાય સામે અવાજ ઉઠાવવાની હિંમત ધરાવે છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ યુવતીઓને પોતાના હકો માટે અવાજ ઉઠાવવા પ્રેરિત કરવાનો તેમજ આત્મવિશ્વાસ અને સશક્તિકરણ તરફ દોરી જવાનો છે.
વીજ કર્મીઓના પડતર પ્રશ્નો બાબતે લડતનો આરંભ:અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘનું PGVCL સામે આંદોલન
અનફે૨ લેબ૨ પ્રેક્ટિસ સહિતના કર્મચારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નો સત્વરે ઉકેલવા ગુજરાત વિદ્યુત કામદાર સંઘ લાંબા સમયથી લડત આપી રહ્યું છે. PGVCLના કર્મચારીઓના પોલિસી લેવલના પ્રશ્નો અંગે AGVKS દ્વારા સમયાંતરે PGVCL કોર્પોરેટ ઓફિસના તંત્રવાહકોને ઢંઢોળી યોગ્ય કરવા અત્યાર સુધીમાં રજૂઆતો કરાઈ છે. કર્મચારીઓના અનફે૨ લેબ૨ પ્રેક્ટિસ સહિતના લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નો બાબતે કામદાર સંઘે PGVCL સામે આરપારની લડાઈ આદરી 16મી માર્ચ સુધી વર્ક ટુ રૂલ્સ સહિતના આંદોલનાત્મક કાર્યક્રમોનું એલાન કર્યું છે. PGVCLને જુદા-જુદા મુદ્દાઓ પર તાજેતરમાં 10થી વધુ લેખિત રજૂઆતો બાબતે કોઈ નક્કર ઉકેલ આવ્યો ન હોવાથી આંદોલનની નોટિસથી આખરી અલ્ટીમેટમ આપ્યું હતું. જે અનુસંધાને અણઉકેલ રહેલા પડતર પ્રશ્નોનો કોઈ ઉકેલ ન આવતા વર્ક ટુ રૂલસ મુજબ વધારાની કામગીરીનો બહિષ્કાર કરી આંદોલનનો આજથી પ્રારંભ કરી દીધો હતો ત્યારે AGVKS સાથે જોડાયેલ કર્મીઓ વર્ક ટુ રૂલસ મુજબ કામગીરી કરી PGVCLની વધારાની કામગીરીથી અલગ રહ્યા હતા. આંદોલનમાં 13 હજાર કર્મચારીઓ જોડાશેPGVCLને કર્મચારીઓના વ્યક્તિગત પ્રશ્નોથી લઈ પોલિસી લેવલના પ્રશ્નો અંગે અત્યાર સુધીમાં વારંવાર રજૂઆતો કરી છે. જોકે તેમ છતાં પ્રશ્નો ધ્યાને ન લેવાતા આંદોલનનું એલાન કરાયું છે ત્યારે ગુજરાત વિદ્યુત કામદાર સંઘના PGVCL સામેના આંદોલનમાં 13 હજાર કર્મચારીઓ જોડાશે. > બળદેવભાઈ પટેલ, સિનિયર સેક્રેટરી જનરલ, અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ AGVKSના આંદોલનમાં તબકકાવાર કાર્યક્રમોPGVCL વિરુદ્ધ આંદોલનાત્મક કાર્યક્રમોમાં PGVCLની વિવિધ કચેરીઓમાં તા.7 થી 15મી માર્ચ સુધી કચેરી સમય સિવાય અને રજાના દિવસોમાં વર્ક ટુ રૂલ્સ કામગીરી કરી રવિવારે વિન્ડો કલેકશન અને નોન ટેક કર્મચારીઓ ફિલ્ડ કલેકશનની કામગીરીથી દૂર રહેશે. તેમજ કચેરીઓમાં તા.11 થી 14મી માર્ચ સુધી વર્ક ટુ રૂલ્સ કામગીરી સાથે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરાશે. છેલ્લા દિવસે તા.16મી માર્ચના PGVCL રાજકોટ કોર્પોરેટ કચેરીમાં ધરણા સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવશે.
આગામી દિવસોમાં મહાનગરપાલિકા તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે સૌ કોઇ સુસજ્જ થઇ રહ્યાં છે ત્યારે સ્થાનિક સ્વરાજની આ ચૂંટણી પૂર્વે પ્રાથમિક શિક્ષકોને પણ પોતાના અણઉકેલ પ્રશ્નો યાદ આવ્યા છે. તાજેતરમાં પ્રાથમિક શિક્ષકોના અણઉકેલ પ્રશ્નો અંગે રાજ્ય કારોબારી યોજાઇ ગઇ જેમાં HTAT બદલી કેમ્પ, 100% જિલ્લા ફેર, પ્રાથમિક શિક્ષકોને વર્ગ 1-2 માટે લાયક ગણવા, ધો. 6 થી 8 માં અંગ્રેજી વિષય શિક્ષકની નિમણૂક સહિતના 66 પ્રશ્નો ચર્ચાયા હતા. પ્રાથમિક શિક્ષકોના આ તમામ પ્રશ્નો અંગે લાંબા સમયથી રજૂઆત છતાં કોઇ ઉકેલ આવ્યો નથી. આ ઉપરાંત રાજ્ય કારોબારીમાં ચર્ચાયેલા પ્રશ્નોમાં 01-04-2005 પછીના શિક્ષકો માટે OPS, 1998થી માતૃત્વની રજાઓ ઉ.પ.ધોરણમાં કપાત ન ગણવી, CRC co. માટે ત્રણ વાર સેલ્ફી અને કુલિંગ પિરિયડ રદ કરવા બાબત, આચાર્ય અને CRC co ને વેકેશનની પ્રાપ્ત રજાઓ આપવા બાબત, આશ્રમશાળામાં કરેલી નોકરી સળંગ ગણવા બાબત 1 વર્ષમાં 2 વાર વિદેશ જવા NOC આપવા બાબત, ખાલી જગ્યા પર નવીન TPEO ની તાત્કાલિક નિમણૂક,શિક્ષક તાલીમ શેડ્યુલ વર્ષની શરૂઆતમાં નક્કી કરી શરૂઆતમાં જ તાલીમ આપવા જેવા પ્રશ્નો પર આગળની રણનીતિ ઘડવામાં આવી હતી. જિલ્લા ફેર બદલીનો લાભ 2 વાર આપવા, બદલી થયેલ શિક્ષકોને 100 ટકા છૂટા કરવા, શૈક્ષણિક કચેરીઓમાં ક્લાર્કની સંપૂર્ણ જગ્યાઓ ભરવા, જિલ્લા ફેર માટે 5 વર્ષનો નિયમ દુર કરવા, ધોરણ 3 થી 8 ની પરીક્ષા એક સહ લેવા, ધો.6થી 8નું પ્રશ્નપત્ર 40 ગુણનું કરવા, ધો.3 થી 5માં તાસ પદ્ધતિ બંધ કરવા, સ્વચ્છતા અને ડેટમ ગ્રાન્ટ સમયસર આપવા અને નોંધપાત્ર વધારો કરવા, શાળાઓમાં ક્લાર્કની નિમણૂક કરવા, દરેક વર્ગમાં સ્માર્ટ TV વ્યવસ્થા પૂરી પાડવા, પગાર કેન્દ્રમાં શાળા સહાયકની નિમણૂક કરવા બાબતનો સમાવેશ કરાયો હતો. શિક્ષકોના આ 66 જેટલા અણઉકેલ પ્રશ્નો અંગે હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે જાગૃતિ આવી છે. શિક્ષકોનું યુનિયન પણ આ અંગે સક્રિય થયું છે. કારોબારી બેઠકમાં આ અણઉકેલ પ્રશ્નોની ચર્ચા કરી હતી અને જાણે ચૂંટણી છે એટલે થોડા પ્રશ્નો ઉકેલાય તેવી આશા હોય તેવું લાગ્યું હતું. બીજો અને ચોથો શનિવાર રજા આપોધો.6 થી 8 ના શિક્ષકને ફરી ધો.1 થી 5માં જવા વિકલ્પ આપવા, સિનિયર શિક્ષકોને પ્રમોશન આપવા, બીજો અને ચોથો શનિવાર રજા, CRC co વય મર્યાદા 55 વર્ષ કરવા, શિક્ષક સામે ફરિયાદના કિસ્સામાં પ્રાથમિક તપાસ પોલીસ +ખાતા દ્વારા થયા બાદ જ યોગ્ય લાગે તો ધરપકડ કરવા, ઉત્સવ માટે પૂરતી ગ્રાન્ટ ફાળવવા અને તબીબી કિસ્સા બદલીમાં જિલ્લા તબીબી અધિકારીનું પ્રમાણપત્ર માન્ય ગણવા બાબતનો સમાવેશ છે. 2011 પહેલાંના શિક્ષકોને TET મુક્તિ આપોકોર્ટ કેસ વાળી શાળા બાકાત રાખી બદલી કેમ પૂર્ણ કરવા, ધો.1 થી 5માં પાંચમા શિક્ષક મહેકમ માટે બાળકોની સંખ્યાનો રેશિયો ઘટાડવા બાબત - વર્ગ દીઠ શિક્ષક આપવા, શાળા કન્ટીજન્સી ચાલુ કરવી રકમમાં વધારો કરવો, આચાર્ય એલાઉન્સ વધારી 1000 કરવું , 2011 પહેલાંના શિક્ષકોને TET મુક્તિ, સત્રની શરૂઆતમાં જ સાહિત્ય મળી જાય તેવું આયોજન કરો.
અભ્યાસક્રમની મજાક:યુનિમાં બે જુદા જુદા સેમ.માં એક સમાન કોર્સ
એમકેબી યુનિ.એ જાણે અભ્યાસક્રમને મજાક સમાન બનાવી દીધો હોય તેમ બી.કોમ. સેમેસ્ટર-4 અને સેમેસ્ટર-6માં ઇન્ડસ્ટ્રીયલ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ કોર્સને સમાન અભ્યાસક્રમ સાથે બન્ને સેમેસ્ટરમાં ચાલુ રાખવામાં આવ્યો હોવાનું ખુલતા એબીવિપિ દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આ મામલે આગામી બે દિવસમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ કુલપતિને રજૂઆતના સમયે આપવામાં આવી હતી. આ મુદ્દે વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ બંને સેમેસ્ટરમાં એકસરખો વિષય અને એકસરખો અભ્યાસક્રમ રાખવામાં આવતા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડાછેડી થતી હોવાની લાગણી વ્યક્ત થઈ રહી છે અને અભ્યાસક્રમને મજાક સમાન બનાવી દેવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. સાથે સાથે નવી શિક્ષણ નીતિ મુજબ (NEP) કેટી (KT) પરીક્ષા વર્ષમાં બે વખત લેવાય તેવી જોગવાઈ હોવા છતાં યુનિવર્સિટીમાં કેટી પરીક્ષાનું આયોજન યોગ્ય રીતે કરવામાં આવતું નથી તેવી પણ ફરિયાદ ઉઠી છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે ઘણા કિસ્સાઓમાં કેટી પરીક્ષા વર્ષ દરમિયાન લેવાતી નથી અને આગામી વર્ષે નિયમિત પરીક્ષાઓ સાથે જ લેવામાં આવે છે, જે નવી શિક્ષણ નીતિના નિયમો વિરુદ્ધ હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી યુનિવર્સિટી કેમ્પસમાં અસામાજિક તત્વોનું આવાગમન વધી ગયું હોવાની પણ ફરિયાદો સામે આવી રહી છે. કેમ્પસ વિસ્તારમાં દારૂ અને ગાંજા જેવા નશીલા પદાર્થોનો ઉપયોગ થતો હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેમ્પસમાં તાત્કાલિક ધોરણે સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવી વધુ સિક્યુરિટી ગાર્ડોની નિમણૂક કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. આ મુદ્દાઓને લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી પ્રશાસનને તાત્કાલિક નિર્ણય લેવા રજૂઆત કરવામાં આવી છે. સાથે ચેતવણી આપવામાં આવી છે કે જો બે દિવસમાં આ મુદ્દાઓ પર યોગ્ય અને સંતોષકારક નિર્ણય લેવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેના માટેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે.
'ઉંમર કદાચ શરીરને થોડું ધીમું બનાવી શકે, પરંતુ મનનો ઉત્સાહ ક્યારેય ધીમો પડવો જોઈએ નહીં' આ શબ્દો છે અમદાવાદમાં રહેતા અને 87 વર્ષની ઉંમરે પણ શહેરના ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર શોલેના જય-વીરુની જેમ મોટરસાયકલ પર ફરતા મંદાકિનીબેન શાહના. જેઓ આજે પણ મોટી ઉંમરના કારણે ઘરે બેસી રહેવાના બદલે નવી નવી જગ્યાએ ફરવાનું અને અન્ય લોકોને પ્રોત્સાહિત કરવાનું પસંદ કરી રહ્યા છે. biker.dadiથી ઈન્સ્ટાગ્રામમાં ફેમસ બંને બહેનો પોતાના વીડિયો બનાવી અપલોડ કરતા રહે છે.તેઓ ઈન્સ્ટાગ્રામ પર 7000થી વધુ ફોલોઅર્સ ધરાવે છે. અનેક મહિલાઓ માટે પ્રેરણારુપ બનેલા મંદાકિની બહેન શાહ સાથે મહિલા દિવસ નિમિતે દિવ્ય ભાસ્કરે વાતચીત કરી હતી. સ્કૂટર ચલાવતી સમયે ચહેરા પર લાગતો પવન યુવાનીનો અહેસાસ કરાવે- મંદાકિનીબહેનઅમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા અને 87 વર્ષની ઉંમરે પણ બહેન સાથે મોટરસાયકલ ચલાવતા મંદાકિની બહેન શાહે દિવ્ય ભાસ્કર સાથે પોતાના સંઘર્ષમય જીવનની વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, તેમને આજે પણ પોતાની નાની બહેન ઉષા સાથે અને તેમના વિશ્વાસુ સ્કૂટર પર સાહસિક મુસાફરી કરવી ખૂબ ગમે છે. તેઓ કહે છે કે,સ્કૂટર ચલાવતી વખતે ચહેરા પર લાગતો પવન તેમને ફરીથી યુવાનીનો અહેસાસ કરાવે છે. આ જ ઉત્સાહ તેમને આજે પણ જીવન જીવવાની નવી ઊર્જા આપે છે. પિતા ફ્રિડમ ફાઈટર, પાંચ ભાઈ-બહેનોમાં સૌથી મોટામંદાકિનીબેનનો જન્મ અને ઉછેર અમદાવાદમાં થયો છે. તેઓ પાંચ બહેનો અને એક ભાઈ વચ્ચે સૌથી મોટા હતા. ઘરમાં સૌથી મોટા હોવાને કારણે જવાબદારી શું હોય છે તેની સમજ તેમને બાળપણથી જ થઈ ગઈ હતી. પરિવારની પરિસ્થિતિ સામાન્ય હતી અને આર્થિક સંજોગો હંમેશા મજબૂત નહોતા.તેમના પિતા ફ્રીડમ ફાઈટર હતા. દેશને આઝાદી મળ્યા પછી તેમનું સપનું પોતાનો વ્યવસાય શરૂ કરવાનો હતો. પરંતુ આર્થિક પરિસ્થિતિ મજબૂત ન હોવાને કારણે તે સપનું પૂર્ણ થઈ શક્યું નહોતું. ઘરમાં પૈસાની હંમેશા તંગી રહેતી. આવી સ્થિતિમાં તેમની માતાએ આખા પરિવારને સંભાળ્યો અને બાળકોને ઉછેર્યા. વધુમાં તેઓએ જણાવ્યું કે, તેમણે પોતાની માતાને રોજિંદા સંઘર્ષ કરતા જોયા અને તેમાંથી જ તેમને શીખ મળ્યું કે જીવનમાં સ્વાવલંબન કેટલું મહત્વનું છે. તેમણે નક્કી કર્યું કે જીવનમાં કોઈપણ પરિસ્થિતિ આવે, તેમને પોતાના પગ પર ઉભા રહેવું છે. નબળી આર્થિક સ્થિતિના કારણે કોલેજ સુધી અભ્યાસ ન થઈ શક્યોપરિસ્થિતિઓને કારણે મંદાકિનીબેન કોલેજ સુધી અભ્યાસ કરી શક્યા નહોતા. શાળા પૂર્ણ થતાં જ તેમણે કામ શરૂ કરી દીધું. માત્ર 16 વર્ષની ઉંમરે તેમણે બાલ મંદિરમાં મોન્ટેસરી શિક્ષિકા તરીકે કામ શરૂ કર્યું. તે સમયે તેમને અંગ્રેજી ભાષાના ઘણા શબ્દો પણ સારી રીતે આવડતા નહોતા, પરંતુ તેમની અંદર કામ કરવાની ઇચ્છા અને જવાબદારીનો ભાવ હતો. શિક્ષિકા તરીકે કામ કરતી વખતે તેમણે બાળકો સાથે જોડાવાની અને તેમને શીખવવાની ખાસ કળા વિકસાવી. આ કામ દ્વારા તેમને સમાજ સાથે વધુ નજીકથી જોડાવાની તક મળી. મહિલાઓને પગભર કરવા હંમેશા સક્રિય રહ્યામંદાકિનીબેન સામાજિક કલ્યાણના અનેક પ્રોજેક્ટ્સ સાથે જોડાયા. તેઓ ગામડાઓમાં મહિલા મંડળોની બેઠકમાં ભાગ લેતા, પંચાયતની ચર્ચાઓમાં હાજરી આપતા અને સ્ત્રીઓને તેમના અધિકારો વિશે સમજાવતા. તેઓ મહિલાઓને આત્મવિશ્વાસ સાથે જીવવાની પ્રેરણા આપતા. આ કામ દરમિયાન તેમને ઘણીવાર ધૂળિયા રસ્તાઓ પર મુસાફરી કરવી પડતી અને લોકો સાથે કલાકો સુધી ચર્ચાઓ કરવી પડતી. પરંતુ આ બધું તેમની માટે માત્ર કામ નહોતું, પરંતુ સમાજ માટે કંઈક કરવાનું એક મિશન હતું. 62 વર્ષની ઉંમરે મોપેડ ચલાવતા શીખ્યા આજે 87 વર્ષે પણ ચલાવે છેજીવનમાં નવી બાબતો શીખવાની તેમની ઉત્સુકતા ક્યારેય ઓછી થઈ નથી. 62 વર્ષની ઉંમરે તેમણે મોપેડ ચલાવવાનું શીખ્યું. ત્યારબાદ જીપ ચલાવવાનું પણ શીખ્યા. અંતે તેમણે એક સેકન્ડ-હેન્ડ સ્કૂટર ખરીદ્યું, જે આજે પણ તેમની સાથે જીવનની અનેક સફરોમાં સાથી છે. સમાજમાં ઘણીવાર લોકોને તેમની જીવનશૈલી વિશે પ્રશ્નો પૂછતા. લોકો વારંવાર પૂછતા કે શું તેઓ લગ્ન કર્યા નથી અથવા શું તેઓ વિધવા છે. ઘણા લોકો માટે એકલી સ્ત્રી એટલે અધૂરી કહાની. પરંતુ મંદાકિનીબેન માટે તેમની પોતાની જીવનકથા સંપૂર્ણ અને સુંદર હતી. તેઓ કહે છે કે દરેક દિવસ સાથે તેમની જીવનકથા વધુ ખીલી રહી છે. એક સમયે તેમને પણ લગ્ન કરવાની ઇચ્છા હતી, પરંતુ જીવનના રસ્તાઓ અલગ રીતે વળી ગયા. તેમણે જીવનને જે રીતે મળ્યું તે રીતે સ્વીકાર્યું અને આગળ વધ્યા. આજે પણ જ્યારે તેઓ સ્કૂટર ચલાવે છે ત્યારે ઘણીવાર ટ્રાફિક પોલીસ તેમને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે અને મજાકમાં પૂછે છે, “બા, તમે સ્કૂટર કેમ ચલાવો છો?” લોકો ઘણીવાર તેમની નકલ પણ કરે છે. જ્યારે લોકો તેમને અને તેમની બહેન ઉષાને સ્કૂટર પર એકસાથે જતા જુએ છે ત્યારે તેઓ આશ્ચર્યથી ભરાઈ જાય છે. પરંતુ મંદાકિનીબેન માત્ર સ્મિત કરે છે અને કોઈ જવાબ આપતા નથી. તેઓ કહે છે કે આ આનંદને શબ્દોમાં સમજાવવો મુશ્કેલ છે. સ્કૂટર ચલાવતી વખતે ચહેરા પર લાગતો પવન આજે પણ તેમને 16 વર્ષની ઉંમરની યાદ અપાવે છે. જીવનમાં ખુશી જાળવવા હાસ્ય અને રમતો ખૂબ જરુરી- મંદાકિનીબહેનમંદાકિનીબેનનો દિવસ આજે પણ ખૂબ સક્રિય રીતે પસાર થાય છે. તેઓ દરરોજ પોતાના મિત્રોને મળવા જાય છે. મિત્રો સાથે તેઓ ગીતો ગાય છે, ભોજન કરે છે અને વિવિધ રમતો રમે છે. તેમને ખાસ કરીને લોકોને રમતો શીખવવી ખૂબ ગમે છે. તેઓ માને છે કે રમતો અને હાસ્ય જીવનમાં ખુશી જાળવી રાખવા માટે ખૂબ જરૂરી છે. ઉંમર કદાચ શરીરને થોડું ધીમું બનાવી શકે, પરંતુ મનનો ઉત્સાહ ક્યારેય ધીમો પડવો જોઈએ નહીં, એવું તેઓ માને છે. તેમને આજે પણ કામ કરવું, લોકો સાથે મળવું અને નવી વસ્તુઓ શોધવી ગમે છે. મંદાકિની શાહનું જીવન સમાજ માટે એક સંદેશ છે કે પરિસ્થિતિઓ કેટલીય કઠિન હોય, જો મનમાં હિંમત અને આત્મવિશ્વાસ હોય તો જીવનને પોતાની રીતે જીવવું શક્ય છે. તેઓ કહે છે કે તેમણે એવું જીવન જીવ્યું છે જેની સમાજે કદાચ તેમના માટે કલ્પના પણ નહોતી કરી. પરંતુ તેમણે ક્યારેય સમાજના બંધનોને પોતાના સપનાઓ પર હાવી થવા દીધા નથી. આજે 87 વર્ષની ઉંમરે પણ તેઓ થાક્યા નથી. તેમની આંખોમાં હજુ પણ નવી સફરો અને નવા અનુભવો માટેનો તેજ જોવા મળે છે. મંદાકિનીબેનની આ કથા માત્ર એક વ્યક્તિની નથી, પરંતુ એ દરેક માટે પ્રેરણા છે જે જીવનમાં પોતાના સપનાઓને સાચા કરવા ઈચ્છે છે. તેમની જીવનયાત્રા એ સાબિત કરે છે કે હિંમત, આત્મવિશ્વાસ અને જીવન પ્રત્યેનો પ્રેમ હોય તો દરેક દિવસ નવી શરૂઆત બની શકે છે.
વિશ્વ મહિલા દિવસ નિમિત્તે જ્યારે સમગ્ર વિશ્વ સ્ત્રી શક્તિના ગુણગાન ગાઈ રહ્યું છે, ત્યારે જૂનાગઢના ગિરનારની ગોદમાં પ્રકૃતિ અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે કાર્યરત મહિલાઓની સાહસિક ગાથા ખરેખર પ્રેરણાદાયી બની રહી છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના 'સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વાઈલ્ડ લાઈફ'માં સંશોધન કરતી દીકરીઓએ સાબિત કરી દીધું છે કે સંકલ્પશક્તિ મજબૂત હોય તો જંગલના દુર્ગમ રસ્તાઓ પણ સરળ બની જાય છે. પરંપરાગત સીમાડાઓ ઓળંગીને આજે આ મહિલાઓ વન્યજીવ સંરક્ષણ માટે વિજ્ઞાન અને સાહસનો સમન્વય કરી રહી છે. ભાગ્યશ્રી ડાંગરની સંઘર્ષથી 'ગિરનારના GPS' સુધીની સફરઆ ગાથામાં સૌથી મોખરે નામ આવે છે ભાગ્યશ્રી ડાંગરનું. જેઓ 'સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વાઈલ્ડ લાઈફ એન્ડ કન્ઝર્વેશન સ્ટડીઝ'માં જુનિયર રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 4 વર્ષથી તેઓ ગિરનાર વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરીના ઊંડાણપૂર્વકના વિસ્તારોમાં લાઈકેન અને શેવાળ જેવી અત્યંત દુર્લભ દ્વિઅંગી વનસ્પતિઓ પર સંશોધન કરી રહ્યા છે. આ વનસ્પતિઓ પર્યાવરણની શુદ્ધતા માપવા માટે કુદરતી સૂચક તરીકે કામ કરે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કોરોનાકાળ અને પૂર જેવી કુદરતી આફતોમાં પણ ગિરનારના જંગલોમાં રહીને ડેટા એકત્રિત કરવાની તેમની ધગશ જોઈને આજે સૌ કોઈ તેમને માનથી 'ગિરનારનું GPS' કહે છે. તેમની પાસે ગિરનારના એવા વિસ્તારોની ભૌગોલિક જાણકારી છે જે ભાગ્યે જ કોઈ પાસે હોય. લુપ્ત થતી વન્ય પ્રજાતિઓ પર સંશોધન કરતી સખીબીજી તરફ, WCB રિસર્ચ ફાઉન્ડેશનના વાઈલ્ડ લાઈફ માઇક્રોબાયોલોજિસ્ટ સખીએ એક અનોખો રાહ કંડાર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે લોકો માનતા હોય છે કે માઈક્રોબાયોલોજીના વિદ્યાર્થીઓ માત્ર લેબોરેટરી કે પેથોલોજી સેન્ટર સુધી જ સીમિત રહેવા જોઈએ, પરંતુ તેમણે આ રૂઢિચુસ્ત માનસિકતાને ફગાવી દીધી છે. સખીએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓ હાલમાં લુપ્ત થતી વન્ય પ્રજાતિઓ, ખાસ કરીને રીંછના આંતરડાના સૂક્ષ્મ જીવાણુઓ (Gut Microbiota) પર ગહન સંશોધન કરી રહ્યા છે. વન્ય જીવોના સ્વાસ્થ્ય અને તેમના સંરક્ષણ માટે સૂક્ષ્મ જીવાણુઓનો અભ્યાસ કેવી રીતે મદદરૂપ થઈ શકે, તે દિશામાં તેમનું મૌલિક કાર્ય આજે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આજના યુગમાં દીકરીઓ દીકરાઓની સમકક્ષ: ડો. નિષિધ ધારૈયાભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ડાયરેક્ટર ડો. નિષિધ ધારૈયાએ મહિલાઓના આ પ્રદાનને બિરદાવતા જણાવ્યું હતું કે, આજના યુગમાં દીકરીઓ દીકરાઓની સમકક્ષ જ છે. ગુજરાત સરકાર દ્વારા પ્રાપ્ત 'સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વાઈલ્ડ લાઈફ'ના માધ્યમથી અનેક દીકરીઓ વહેલી સવાર કે મોડી રાત સુધી જંગલના જટિલ વિસ્તારોમાં જઈને સેમ્પલ કલેક્શન અને ટ્રેકિંગ જેવા સાહસિક કાર્યો કરી રહી છે. દીકરીઓના આ આંતરરાષ્ટ્રીય સ્તરના સંશોધનો યુનિવર્સિટીનું ગૌરવ વધારી રહ્યા છે. વન વિભાગ સંશોધક બહેનોને પ્રોત્સાહન પૂરું પાડવા તત્પરઆ સાથે જ જૂનાગઢ વન વિભાગના ACF સુનિલ પ્રજાપતિએ વન્યજીવ સંરક્ષણમાં આ સંશોધનોની અગત્યતા સમજાવતા જણાવ્યું હતું કે, વર્ષ 2008માં ગિરનારને અભયારણ્ય જાહેર કરાયા બાદ તેના સંરક્ષણ માટે વૈજ્ઞાનિક ડેટા ખૂબ જરૂરી છે. જ્યારે મહિલા સંશોધકો દુર્ગમ વિસ્તારોમાં જઈને રિસર્ચ પેપર્સ તૈયાર કરે છે, ત્યારે વન વિભાગને જંગલના વ્યવસ્થાપન અને દુર્લભ વનસ્પતિઓના જતન માટે સચોટ માર્ગદર્શન મળે છે. વન વિભાગ હંમેશા આવી સંશોધક બહેનોને પ્રોત્સાહન પૂરું પાડવા તત્પર રહે છે. 'સ્ત્રીએ ક્યારેય પોતાની ક્ષમતા પર શંકા ન કરવી'આ તમામ મહિલા સંશોધકોનો એક જ સૂર છે કે સ્ત્રીએ ક્યારેય પોતાની ક્ષમતા પર શંકા ન કરવી જોઈએ. ભાગ્યશ્રીએ અંતમાં સંદેશ આપતા જણાવ્યું હતું કે, કોઈપણ કાર્ય ત્યારે જ શક્ય બને છે જ્યારે તમે તેની નીડરતાથી શરૂઆત કરો છો. તેવી જ રીતે સખીએ પણ સ્ત્રીઓને મક્કમ રહીને પોતાના લક્ષ્ય તરફ આગળ વધવા પ્રેરણા આપી હતી. કુદરતના અગોચર રહસ્યોને ઉકેલવા એ સ્ત્રી માટે અશક્ય નથીગિરનારની આ દીકરીઓ સાબિત કરી રહી છે કે જો મનમાં અતૂટ શ્રદ્ધા અને અડગ ઈચ્છાશક્તિ હોય, તો કુદરતના અગોચર રહસ્યોને ઉકેલવા એ સ્ત્રી માટે અશક્ય નથી. આજે આ મહિલાઓ માત્ર સંશોધન જ નથી કરી રહી, પરંતુ આવનારી પેઢીની દીકરીઓ માટે સાહસ અને વિજ્ઞાનનો એક નવો માર્ગ મોકળો કરી રહી છે.
આજે 8 માર્ચ, 2026 (રવિવાર)એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી T-20 વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈને આખું અમદાવાદ ક્રિકેટમય બની ગયું છે. આખા અમદાવાદમાં ક્રિકેટ કાર્નિવલ જામ્યો છે. ફ્લાઈટના ભાડામાં 3થી 4 ગણો ઉછાળો છે, તો મુંબઈ-અમદાવાદ વચ્ચે 4 સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો દોડશે. સેલિબ્રિટીઝનો જમાવડો રહેવાથી શહેરમાં VVIP મુવમેન્ટમાં ધસારો જોવા મળશે. ક્રિકેટને ક્રેઝ એટલો જોરદાર છે કે અમદાવાદના મલ્ટીપ્લેક્સ, સિનેમાહોલ અને કેફેમાં મેચ જોવા માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે. તો ગ્રુપ મેચ જોવાના ક્રેઝને લઈને શહેરમાં પ્રોજેક્ટરની અછત સર્જાઈ છે. આ મહામુકાબલા પૂર્વે એક ભવ્ય મેગા ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરાયું છે, જે દર્શકો માટે એક અનોખો અનુભવ બની રહેશે. ગ્લોબલ પોપ સ્ટાર રિકી માર્ટિન પ્રથમ વખત અમદાવાદના આંગણે પરફોર્મ કરશે, જ્યારે ગુજરાતની ગરબા ક્વિન ફાલ્ગુની પાઠક અને પંજાબી સિંગર સુખબીર સિંહ પોતાના અવાજથી સ્ટેડિયમમાં જોશ ભરશે. અંદાજિત 1.25 લાખ પ્રેક્ષકોની હાજરીમાં લેસર શો અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ટુર્નામેન્ટનું ભવ્ય સમાપન થશે. જો તમે મેચ જોવા માટે જવાના હોવ તો તમારે શું ધ્યાન રાખવું, કઇ વસ્તુ સાથે લઈ જવી, પોતાની ગાડી કે ટુ-વ્હીલર ક્યા પાર્કિંગ કરવું અને જો મેટ્રોમાં જવાના હોવ તો ટાઇમિંગ અને પ્રતિબંધિત કે વૈક્લિપક રૂટ વિશેની તમામ માહિતી આજે તમને દિવ્ય ભાસ્કર એપ પર જાણવા મળશે. સ્ટેડિયમ ગેટ નંબર-1થી 100 મીટર દૂર બેરિકેડ મૂકી પ્રવેશ અપાશે.નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગેટ નંબર 1 પાસે ધક્કામુક્કી ન થાય તે માટે 100 મીટર આગળ બેરિકેડ્સ મૂકી ત્યાંથી જ પ્રવેશ અપાશે. સ્ટેડિયમમાં પ્રેક્ષકો પર નજર રાખવા સ્પેશિયલ કંટ્રોલ રૂમ બનાવાયો છે, જેમાં બેઠેલી ટીમ 270 કેમેરાથી સતત મોનિટરિંગ કરશે. સ્ટેડિયમમાં 4 બોમ્બ સ્ક્વોડ, NDRFની ટીમ પણ તહેનાત રહેશે. મેચને પગલે સ્ટેડિયમની અંદર-બહાર લોખંડી બંદોબસ્ત રહેશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વીઆઈપી સહિત 1 લાખથી વધુ લોકો આવવાના હોવાથી શહેર પોલીસે સુરક્ષાનો એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે. સ્ટેડિયમમાં 8 ગાડી સાથે 55 ફાયર અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશેસ્ટેડિયમના ચારેય ગેટ પાસે ફાયરનું એક વાહન તથા પાર્કિંગ પ્લોટમાં પણ ફાયરનાં વાહન ઊભાં રખાશે. આ સાથે જ સ્ટેડિયમની અંદર 55 ફાયર અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે. મેચને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગે ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું ઓડિટ કર્યું છે. સાથે જ ઈમર્જન્સીમાં ત્યાંના સ્ટાફે શું કરવું જોઈએ તેની ટ્રેનિંગ પણ આપી છે. બિલ્ડિંગની અંદર ઇલેક્ટ્રિક સમસ્યાનો સામનો કરવા માટે ફાયર એક્સ્ટીંગ્વિશર, ફાયર ફાયટિંગ હાઈડ્રન પોઈન્ટ, વોટસ સ્પ્રિંક્લર ફિક્સ કરેલા છે. ટ્રાફિક જનપથ ટી-મોટેરા ગામ રોડ સવારે 10થી બંધમેચને પગલે જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટથી કૃપા રેસિડન્સીથી મોટેરા ગામ સુધીનો આવવા-જવાનો રસ્તો વાહનોની અવરજવર માટે સવારે 10 વાગ્યાથી મોડી રાત્રે 2 વાગ્યા સુધી બંધ રહેશે. વાહનચાલકો વૈકલ્પિક માર્ગ તરીકે તપોવન સર્કલથી વિસતથી જનપથ થઈ પાવર હાઉસ, પ્રબોધ રાવળ સર્કલ તથા કૃપા રેસિડન્સીથી ભાટ કોટેશ્વર રોડ, એપોલો સર્કલ તરફ અવરજવર કરી શકશે. ટ્રાફિકના એક જેસીપી, ત્રણ ડીસીપી, પીઆઈ, પીએસઆઈ સહિત કુલ 800 અધિકારી-કર્મચારીઓ હાજર રહેશે. શો માય પાર્કિંગ એપ ઉપરથી પાર્કિંગ બુકિંગ કરાવવાનું રહેશેT-20 વર્લ્ડ કપની ફાઈનલ જોવા એક લાખથી વધુ લોકો સ્ટેડિયમમાં આવશે ત્યારે જે લોકો વાહન લઈને સ્ટેડિયમ આવવાના છે તેમના માટે પાર્કિંગના અલગ અલગ લોકેશન નક્કી કરવામાં આવ્યા છે. લોકોએ શો માય પાર્કિંગ એપ ઉપરથી પાર્કિંગ બુકિંગ કરાવવાનું રહેશે જે બુક કરાવ્યા બાદ તેઓ પોતાનું વાહન ત્યાં પાર્કિંગ કરી જઈ શકશે. એપ કે વેબસાઇટ પરથી પાર્કિંગ બુક થશેદેશ-વિદેશમાંથી હજારો ક્રિકેટપ્રેમીઓ અમદાવાદ આવી રહ્યા છે. ત્યારે પ્રેક્ષકોને પાર્કિંગ અંગે કોઈ મુશ્કેલી ન પડે, ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને પાર્કિંગ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે SHOW MY PARKING દ્વારા આધુનિક અને નવીનતમ ટેકનોલોજી સાથે સુવ્યવસ્થિત પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રેક્ષકોએ Show My Parking એપ ડાઉનલોડ કરીને અથવા સીધા વેબસાઇટ પરથી સરળતાથી પાર્કિંગ બુક કરી શકે છે. કુલ 5,000 વાહનો પાર્ક થઈ શકશેસ્ટેડિયમ આસપાસ કુલ 8 અલગ-અલગ પાર્કિંગ સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ફોર-વ્હીલર માટે 6 પાર્કિંગ સ્થળો અને ટુ-વ્હીલર માટે 4 પાર્કિંગ સ્થળો છે. ફોર-વ્હીલર માટે 2,000 વાહનો અને ટુ-વ્હીલર માટે 3,000 વાહનો એમ કુલ 5,000 વાહનો પાર્ક થઈ શકે છે. વર્લ્ડ કપ ફાઇનલ જોવા મેટ્રોમાં જવું સરળ પડશેવિશ્વનું સૌથી મોટું ગણાતા એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે વર્લ્ડ કપની મેચ રમાવાની છે ત્યારે લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે. પણ શું તમે સ્ટેડિયમ ખાતે ઝડપી અને એકદમ સરળતાથી પહોંચવા માગો છો? જો હા તો તમારે મેટ્રોની સવારી કરવી પડશે. કારણ કે જો તમે તમારું પોતાનું વાહન લઈને જશો તોય તમારે 1થી 2 કિમી ચાલવું તો પડશે જ, પણ જો તમે મેટ્રો ટ્રેનમાં જશો તો માત્ર 100 મીટર ચાલવું પડશે, જી હા સ્ટેડિયમ પહોંચવામાં એકદમ સરળ અને નજીકનો રસ્તો મોટેરા મેટ્રો સ્ટેશનથી છે. તો આવો...જાણીએ કે કયા વિસ્તારમાંથી તમે કયા મેટ્રો સ્ટેશનની મદદથી સ્ટેડિયમ ખાતે પહોંચી શકશો... મેટ્રો રાતે 12.30 સુધી દોડશે, રૂ.50માં એડવાન્સ ટિકિટમેચ પૂરી થયા પછી સ્ટેડિયમથી પરત ફરનારા મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને મેટ્રો સેવા રાત્રે 12.30 વાગ્યા સુધી કાર્યરત રહેશે. સ્ટેડિયમથી એપીએમસી સુધી મેટ્રો રાત્રે 10થી 12.30 વાગ્યા સુધી દોડશે. ઉપરાંત જૂની હાઈકોર્ટ ઇન્ટરચેન્જથી વસ્ત્રાલ ગામ અને થલતેજ ગામ તરફની સેવાઓ પણ રાત્રે 12.50 વાગ્યા સુધી રહેશે. ગાંધીનગરના મુસાફરો માટે સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી રાત્રે 11.40 અને 12.10 વાગે બે વધારાની ટ્રેન દોડાવાશે. પેસેન્જર રૂ. 50ની એડવાન્સ ટિકિટ પણ લઈ શકશે. આ બંને રૂટ ઉપરથી મોટેરા સ્ટેડિયમ પહોંચી શકાયજો તમે પૂર્વ વિસ્તારમાં રહો છો તો વસ્ત્રાલથી થલતેજ તરફ જતી મેટ્રો ટ્રેનમાં બેસીને સ્ટેડિયમ તરફ જઈ શકો છો. જો પશ્ચિમ વિસ્તારમાં રહો છો તો થલતેજથી વસ્ત્રાલ જતી મેટ્રો ટ્રેન અને વાસણા એપીએમસીથી મોટેરા સ્ટેડિયમ સુધી જતી મેટ્રો ટ્રેનમાં બેસીને પહોંચી શકો છો. આ બંને રૂટ ઉપરથી મોટેરા સ્ટેડિયમ પહોંચી શકાય છે. મોટેરા તરફ જતી ટ્રેનમાં બેસવું પડશે પૂર્વ વિસ્તારમાંથી વસ્ત્રાલથી થલતેજની મેટ્રો ટ્રેનમાં બેસીને મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચવું હોય તો તેના માટે ઇન્કમટેક્સ મેટ્રો સ્ટેશન ખાતે ટ્રેન બદલવી પડશે. ઇન્કમટેક્સ મેટ્રો સ્ટેશનથી મોટેરા સ્ટેડિયમ તરફ જતી ટ્રેનમાં તમારે બેસીને જવું પડશે. જો એસજી હાઈવે, બોપલ, બોડકદેવ, હેલ્મેટ ચાર રસ્તા, મેમનગર, આનંદનગર, પ્રહલાદનગર તરફથી જો તમે આવવા માંગતા હોવ તો થલતેજની મેટ્રો ટ્રેનમાં બેસી અને તમારે ઇન્કમટેક્સ ખાતે ટ્રેન બદલવી પડે અને મોટેરા તરફ જતી ટ્રેનમાં બેસવું પડશે. ઇન્કમટેક્સ સ્ટેશનથી ટ્રેન બદલવી પડશે જો સરખેજ, વેજલપુર, વાસણા, પાલડી, નવરંગપુરા સરખેજ અને મોટેરા સ્ટેડિયમ જવા માગો છો તો સીધી મોટેરા સ્ટેડિયમ જતી મેટ્રો ટ્રેનમાં બેસીને સ્ટેડિયમ પહોંચી શકાશે, પરંતુ જો પૂર્વ વિસ્તારમાંથી અને એસજી હાઇવે તરફના વિસ્તારમાંથી આવો છો તો ઇન્કમટેક્સ સ્ટેશનથી ટ્રેન બદલવી જ પડશે અને મોટેરા સ્ટેડિયમ જતી ટ્રેનમાં બેસીને સ્ટેડિયમ સુધી પહોંચી શકાશે. ફાઇનલ મેચને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે વધુ ચાર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવશેઅમદાવાદમાં ફાઇનલ મેચને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવેએ વધુ ચાર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવાની જાહેરાત કરી છે. આ ટ્રેનો બાંદ્રા ટર્મિનસ–અમદાવાદ, અમદાવાદ–છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ તથા અમદાવાદ–પુણે વચ્ચે વિશેષ ભાડા સાથે દોડાવાશે. બાંદ્રા ટર્મિનસ–અમદાવાદ વચ્ચે એસી સુપરફાસ્ટ સ્પેશિયલ તરીકે દોડાવાશે. અમદાવાદ–છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સુપરફાસ્ટ એસી સ્પેશિયલ, અમદાવાદ-પુણે સુપરફાસ્ટ પણ દોડાવાશે. એડવાન્સ બુકિંગ 7 માર્ચથી તમામ રિઝર્વેશન કાઉન્ટર, આઈઆરસીટીસી પર શરૂ કરાશે. અમદાવાદ-મુંબઈ તેજસ સ્પે.માં વધારાના 4 એસી કોચ જોડાશેમુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એસી સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેનમાં એક સેકન્ડ એસી અને 3 થર્ડ એસી કોચ ઉમેરાશે. આ વધારાના 4 નવા કોચ ઉમેરવાથી ટ્રેનમાં 268 સીટનો વધારો થશે. આ નવી વ્યવસ્થા સાથે ટ્રેન 7 માર્ચે મુંબઈ સેન્ટ્રલથી ઊપડશે અને અમદાવાદથી 9 માર્ચે ઊપડશે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાવાની છે. આ ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. હાલ સોશિયલ મીડિયામાં પનોતી સ્ટેડિયમના ટેગ સાથે પોસ્ટ વાઈરલ થઈ રહી છે, ત્યારે આ સ્ટેડિયમ ખરેખર પનોતી છે કે નહીં તે જાણવા દિવ્ય ભાસ્કર ક્રિકેટરસિકો વચ્ચે પહોંચ્યું હતું. ક્રિકેટરસિકોએ જણાવ્યું હતું કે, અમે આવી ગયા છીએ હવે પનોતી હટી જશે. અન્ય એકે કહ્યું જો એવું હોય તો એક વર્લ્ડકપ હારી ચૂક્યા છે તો એ કર્ઝ પૂરૂ થઈ ગયું છે. હવે ફાઈનલી ઇન્ડિયા જ જીતશે. અન્ય એક ફેન્સે કહ્યું કે, વર્ષ 2023થી લોકોને લાગે છે પણ ઇન્ડિયા જીતશે અને આ દાગ હટી જશે. જાણો અન્ય ક્રિકેટ્સ ફેન્સે કેવા કેવા જવાબો આપ્યા.
જો તમે એમ માનતા હો કે હજારો કિલોમીટર દૂર ઇરાન અને ઇઝરાયલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી મને કંઇ ફેર ન પડે તો તમારી આ માન્યતા ખોટી છે કેમ કે ફક્ત તમારા ખિસ્સાંને જ નહીં પરંતુ તમારી આસપાસના ઉદ્યોગો અને વેપાર ધંધાને પણ મિડલ ઇસ્ટમાં ફાટી નીકળેલા આ યુદ્ધની અસર થશે. ગેસ સિલિન્ડર, ડ્રાયફ્રૂટ્સથી લઇને સુરતના હીરા ઉદ્યોગ અને ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઇન્ડસ્ટ્રી સુધી આ યુદ્ધની અસર થઇ રહી છે. આજની સન્ડે બિગ સ્ટોરીમાં જાણો કે ક્યા ઉદ્યોગના શ્વાસ અદ્ધર થઇ ગયા છે. હજુ તો શનિવારના દિવસનો સૂરજ ઊગી જ રહ્યો હતો કે ત્યાં સમાચાર આવ્યા કે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો થયો છે. સરકારે દેશની તમામ ઓઇલ રિફાઇનરી કંપનીઓને LPG ઉત્પાદન વધારવાનો પણ આદેશ આપ્યો છે. બીજીતરફ અમરેલી, જૂનાગઢ જેવા જિલ્લાઓમાં પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ-ડીઝલ ખરીદવા લાંબી લાઇનો લાગી હતી. યુદ્ધના કારણે પેટ્રોલ-ડીઝલની તંગી સર્જાશે તેવી અફવા ફેલાતા આવી પરિસ્થિતિ ઊભી થઇ હતી. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર એસોસિએશનના ઉપપ્રમુખ મેહુલ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે, યુદ્ધ લાંબુ ચાલે તો પણ ક્રૂડ ઓઇલનો જથ્થો આપણને મળી રહેશે એટલે તેના માટે પેનિક કરવાની કોઇ જરૂર નથી. ગ્રાહકો કોઇપણ સંજોગમાં પેનિક થઇને ખરીદી ન કરે. જેટલું જરૂરી હોય તેટલું જ પેટ્રોલ ડીઝલ લે. ક્રૂડ ઓઇલ 100 ડોલરને પાર થશે તો જ ભાવ વધશેતેમણે પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાની શક્યતાનો પણ છેદ ઉડાડી દીધો અને જણાવ્યું કે, મારું અંગત ગણિત કહે છે કે પેટ્રોલ-ડીઝલના સપ્લાયમાં કોઇ તકલીફ નથી પડવાની. સરકાર તકેદારી રાખી રહી છે કે લોકોને પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો મળી રહે. જ્યાં સુધી ક્રૂડનો ભાવ 100 ડોલર ઉપર ન વધે ત્યાં સુધી ભારતમાં ભાવ વધારાની શક્યતા પણ નહીંવત છે. આખા દેશ માટે પેટ્રોલ ડીઝલનો ઓછામાં ઓછો 45 દિવસનો જથ્થો પડ્યો છે.મેહુલ પટેલ કહે છે કે, ગુજરાતમાં આશરે 7 હજાર પેટ્રોલ પંપ છે. તેમાં CNG સ્ટેશન પણ આવી જાય. CNGને પણ અસર થઇ શકે છે. દર મહિને આપણો 21.77 લાખ KL (1 KL= 1 હજાર લીટર) લીટર ઉપયોગ છે. હાલમાં મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ તરફથી જે લેટેસ્ટ ન્યૂઝ મળ્યા છે તે પ્રમાણે આખા દેશ માટે આપણી પાસે ઓછામાં ઓછા 45 દિવસનો પેટ્રોલ અને ડીઝલનો રિઝર્વ જથ્થો પડ્યો છે. સાઉદી અરબથી આવતા ક્રૂડ ઓઇલ પર અસર થશેતેમણે આગળ કહ્યું, આ યુદ્ધના કારણે દુનિયાના ઓઇલ અને ક્રૂડ રિઝર્વ પર અસર પડી છે. ભારત તટસ્થ દેશ છે. છેલ્લા કેટલાક સમયથી આપણું મોટા ભાગનું ક્રૂડ રશિયા પાસેથી આવતું હતું. હવે અમેરિકા સાથે એગ્રિમેન્ટ થયો છે એટલે કદાચ અમેરિકા પાસેથી ક્રૂડ આવશે. ભારત સાઉદી અરબ પાસેથી 20થી 25% ક્રૂડ ઓઇલ ખરીદતું હતું. જેના પર કદાચ અસર પડશે. ટુરિઝમ પર અસરઇરાન અને ઇઝરાયલ-અમેરિકા યુદ્ધની અસર દુબઇમાં જોવા મળી હતી. એરપોર્ટ બંધ કરાતા ભારતીયો ત્યાં ફસાયા હતા. જો કે આવી પરિસ્થિતિમાં હવે ગુજરાતથી દુબઇ ફરવા જનારા મુસાફરોમાં પણ થોડો ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. જેથી તેઓ પોતાનું પ્લાનિંગ થોડું મોડું કરી રહ્યાં છે અથવા તો કેન્સલ કરાવી રહ્યાં છે. વર્ષોથી ટુરિઝમ વ્યવસાય સાથે સંકળાયેલા અજય મોદીએ દિવ્ય ભાસ્કરને કહ્યું, અચાનક જે રીતે દુબઇને ટાર્ગેટ કરવામાં આવ્યું તેના કારણે ત્યાંના ટુરિઝમ પર તેની અસર જોવા મળી રહી છે. દુબઇ ફરવા જનારા પ્રવાસીઓમાં ડરનો માહોલ બની ગયો હતો. દુબઇના બદલે બાલી, થાઇલેન્ડનું પ્લાનિંગતેમણે કહ્યું, આવી પરિસ્થિતિમાં ડર લાગે એટલે કેટલાક પર્યટકો દુબઇ જવાને બદલે બાલી, થાઇલેન્ડ સહિતના સ્થળોએ જવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે. અમારે ત્યાંથી અમેરિકા અને કેનેડા જનારા લોકોના બુકિંગ છે. તેમને અમે ડાયરેક્ટ દિલ્હી અને મુંબઇથી જ ફ્લાઇટ મળી જાય તે રીતની ટિકિટ બુક કરી આપીએ છીએ. જેથી બીજો કોઇ ઇશ્યુ હજી સુધી આવ્યો નથી. જો આ યુદ્ધ 2 મહિના લાંબુ ચાલ્યું તો ડ્રાયફ્રૂટના ભાવ પણ વધી શકે છે. જો કે હાલમાં પૂરતો જથ્થો છે અને લોકો ગભરાવાની જરૂર નથી. હિરેન ગાંધી IBF (ઇન ગ્લોબલ બિઝનેસ ફાઉન્ડેશન)ના સેક્રેટરી છે. તેમણે ડ્રાયફ્રૂટ, બાસમતી ચોખા અને સિરામિક ઇન્ડસ્ટ્રીના ગેસ સપ્લાય વિશે વાત કરી. ભારતનું ડ્રાયફ્રૂટ માર્કેટ 35 હજાર કરોડનુંહિરેન ગાંધીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, મારી પાસે ઉપલબ્ધ સીએનજીના રિપોર્ટ અનુસાર આપણે દોઢથી પોણા બે લાખ ટન માલ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. ટોટલ ડ્રાયફૂટના વેપારનું માર્કેટ 35 હજાર કરોડનું છે. તેમાંથી 80-90% આપણે આયાત કરીએ છીએ એટલે કે 28 થી 30 હજાર કરોડનું આપણે ઇમ્પોર્ટ કરી રહ્યાં છીએ. યુદ્ધના કારણે મામરો બદામના ભાવમાં વધારો થયો છે. હિરેન ગાંધી કહે છે કે, પહેલાં હોલસેલ માર્કેટમાં મામરો બદામનો ભાવ પ્રતિ કિલોએ 1800થી 2 હજાર રૂપિયા હતો જે હવે પ્રતિ કિલોએ 2800થી 2900 થઇ ગયો છે. મામરો બદામમાં 4થી 5% ઇમ્પોર્ટ હશે. બાકી 95% બદામ અમેરિકાથી આવે છે. જે અમેરિકન બદામ છે. આરોગ્યની દૃષ્ટિએ મામરો બદામ સારામાં સારી હોય છે. ઇરાનના પિસ્તા ડોડી સારા હોય છે. અફઘાનિસ્તાનના અંજીર સારા હોય છે. બદામનું ઇમ્પોર્ટ અમેરિકાથી, અખરોટનું મોટું ઇમ્પોર્ટ ચીલી અને અમેરિકાથી, પિસ્તાનું ઇમ્પોર્ટ ઇરાન તેમજ અમેરિકાથી થાય છે. જલદારૂ ઇરાન, ઇરાક અને UAEથી આવે છે. સાઉદી અરેબિયા અને UAE ખજૂરનું મોટું સપ્લાયર છે. સાઉદી અરેબિયા, યમન અને UAEમાંથી પ્રિમિયમ ખજૂર આવે છે. તેમાં તેમની મોનોપોલી છે. જેની સાથે સ્પર્ધા ન થઇ શકે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં એક્સપોર્ટ-ઇમ્પોર્ટનો ખર્ચ પણ વધ્યો છે. આની પાછળનું કારણ જણાવતાં હિરેન ગાંધીએ કહ્યું કે, ભારતનો 20% વેપાર હોર્મુઝની ખાડીમાંથી અને 35% વેપાર મિડલ ઇસ્ટમાંથી થાય છે. સ્વભાવિક છે કે યુદ્ધના કારણે આ વેપાર ડિસ્ટર્બ થયો છે. ઘણા બધા જહાજ દરિયામાં વેઇટિંગમાં છે. ક્લીયરન્સ વગર પડ્યાં છે. એક્સપોર્ટ-ઇમ્પોર્ટ માટે ભારતે પોતાનો રૂટ બદલવો પડે. જો નવો રૂટ આફ્રિકામાંથી શરૂ થાય તો તે મોંઘો પણ પડે અને માલ પહોંચવામાં મોડું પણ થાય. કંપનીઓએ ભાડાં વધારવાની સાથોસાથ વીમો પણ વધારી દીધો છે જેથી એક્સપોર્ટ-ઇમ્પોર્ટની ચેઇનની કોસ્ટિંગ વધી ગઇ છે. ડ્રાયફ્રૂટના ભાવ હમણાં નહીં વધેભારતમાં દર વર્ષે 30થી 35 હજાર કરોડ રૂપિયાના ડ્રાયફ્રૂટ્સ-નટ્સનું ઇમ્પોર્ટ થાય છે. ઇરાન, સાઉદી અરેબિયા, ઇરાક, UAE, ઓમાન જેવા દેશો મુખ્ય સપ્લાયર છે. તેઓ કહે છે કે, 20મી તારીખ સુધીનો માલ તો આપણી પાસે છે એટલે ડ્રાયફ્રૂટ્સના ભાવમાં બહુ ફેર નહીં પડે. નવું ઇમ્પોર્ટ અત્યારે અટકી જશે. હાલ પૂરતું કોઇ પેનિક નથી કેમ કે હાલ ડ્રાયફૂટની ડિમાન્ડ ઓછી છે. જે ભાવ વધારો આવવાનો હતો તે આવી ગયો છે. હવે કોઇ ભાવ વધારો નહીં આવે. જો આ યુદ્ધ 2 મહિના લાંબુ ચાલ્યું તો ડ્રાયફ્રૂટના ભાવમાં વધારો થવાની શક્યતા છે. હિરેન ગાંધી કહે છે કે, મે-જૂન મહિનામાં ડ્રાયફ્રૂટ્સની ફ્રેશ ખરીદી ચાલુ થશે. જો એ સમયે સપ્યાલ ચેઇન ડિસ્ટર્બ હશે તો ભાડું, પ્રિમિયમ વધશે. ઉપરાંત ડોલરના ભાવની અસર પણ આયાત ખર્ચ ઉપર થશે. ડ્રાયફ્રૂટ્સની માગ શિયાળામાં વધુ હોય છે. રમઝાન મહિનામાં ખજૂરનો વધુ ઉપયોગ થાય છે. જેની ડિમાન્ડ અત્યારે પૂરી થઇ ગઇ છે. આ સ્થિતિમાં ડ્રાયફ્રૂટ્સનો સ્ટોક તો પૂરતો છે એટલે પેનિક થવાની જરૂર નથી. યુદ્ધની અસર ફક્ત ઇમ્પોર્ટ પર જ નહીં પણ એક્સપોર્ટ ઉપર પણ થશે. તેમણે જણાવ્યું કે, આપણા બાસમતી ચોખાનું મોટામાં મોટું ગ્રાહક ઇરાન છે. 6 ખાડી દેશોમાં ભારત બાસમતી ચોખાના 40% એક્સપોર્ટ કરે છે. કિચન મસાલા અને સ્પાઇસિસ પણ ઇરાન અને ખાડી દેશોમાં એક્સપોર્ટ કરીએ છીએ. તેના પર આ યુદ્ધની અસર દેખાશે. એક્સપોર્ટમાં 10 થી 12% ઘટાડો થશે તેવું લાગે છે. તેમણે પ્રજાને અપીલ કરતાં કહ્યું કે, પેનિક થવાની કોઇ જરૂર નથી. છેલ્લા 5-6 વર્ષમાં ભારતે 7-8 દેશો સાથે કરાર કર્યા છે. અમેરિકા સાથે નવી ટ્રેડ ડીલ કરી છે. આ પરિસ્થિતિમાં ઇરાનથી થતાં એક્સપોર્ટ-ઇમ્પોર્ટમાં બહુ ફેર નથી પડતો. ટ્રેડ રૂટ ડિસ્ટર્બ થવાના કારણે આપણા વેપાર-ઉદ્યોગને અસર થઇ છે. હોર્મુઝ સ્ટ્રેટમાં 350થી વધુ જહાજો અટકી ગયાયુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો અટકી જતાં મોરબીના સિરામિક ઉદ્યોગને મળતાં ગેસના પુરવઠા પર અસર થઇ છે.સિરામિક ઇન્ડસ્ટ્રી અંગે તેમણે કહ્યું કે, સિરામિક ઇન્ડસ્ટ્રીનો ગેસ ખાડી દેશોમાંથી ઇમ્પોર્ટ થાય છે. મારા મત પ્રમાણે હોર્મુઝ સ્ટ્રેટમાં ઓછામાં ઓછા 350થી 400 જહાજો અટકી ગયા છે. જેથી મોટાભાગની ઇન્ડસ્ટ્રીનો સપ્લાય બંધ થઇ ગયો છે. ગેસ બહુ સ્ફોટક હોય છે, જો નાનું ડ્રોન પડે તો પણ આખું જહાજ બ્લાસ્ટ થઇ જાય એટલે કોઇ રિસ્ક લેવા તૈયાર નથી. 'સિરામિક ઉદ્યોગનો 90% બિઝનેસ મોરબી આસપાસ છે. આ ઇન્ડસ્ટ્રી માટે ગેસના ઇમ્પોર્ટમાં તકલીફ થઇ છે જ્યારે બીજીતરફ માલ બનાવીને વેચવો હોય તો તે માટેનું વાતાવરણ પર ડિસ્ટર્બ છે. ગેસના સપ્લાયના કારણે અસર થઇ છે તે 100% સાચી વાત છે પણ વિશ્વમાં પહેલેથી ડિસ્ટર્બન્સ તો હતું જ. ટેરિફના પ્રોબ્લેમ્સ હતા. ' તેમણે ચીન અને ઇરાનની સ્ટ્રેટેજી વિશે પણ વાત કરી.તેઓ કહે છે કે, ઇન્ડિયન ઇકોનોમી જેમ એનર્જી પર ડિપેન્ડેબલ છે તેમ ચીન હાઇએસ્ટ ઇમ્પોર્ટ ઇરાનથી અને બીજા દેશોમાંથી કરે છે. ચીન ભલે અત્યારે કોઇ રિએક્શન નથી આપતું પણ ભવિષ્યમાં કંઇક તો રિએક્શન આપશે જ. અત્યારે બધા દેશો ઇરાન વિરૂદ્ધ છે અને અમેરિકા સક્ષમ છે. ખાડી દેશો થોડા સ્ટ્રોંગ થયા છે. મને એવું દેખાય છે કે નજીકના સમયમાં કોઇ ઉકેલ આવશે. આવી સ્થિતિ લાંબો સમય નથી રહેવાની. 'ઇરાન ગમે ત્યાં હુમલો કરે છે. ખાડી દેશોમાં રહેલા અમેરિકાના સૈન્ય બેઝ પર હુમલો કરે તો આખા વિશ્વની સપ્લાય ચેઇન ડિસ્ટર્બ થઇ જાય અને અમેરિકા-ઇઝરાયલ પર યુદ્ધ અટકાવવાનું પ્રેશર બને. આ જિઓપોલિટિકલ ટેન્શન છે, 3 દેશો વચ્ચેની લડાઇ છે. ભારત ફક્ત ગલ્ફ કન્ટ્રી કે ઇરાનમાંથી જ ઓઇલ ઇમ્પોર્ટ કરે છે તેવું નથી. આપણે કુલ 40 દેશોમાંથી ઓઇલ ઇમ્પોર્ટ કરીએ છીએ. જેથી બીજા વિકલ્પો તપાસી રહ્યાં છે.' મિડલ ઇસ્ટના યુદ્ધની અસર ગુજરાતના હીરા ઉદ્યોગ પર થઇ છે. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન સાથેનું એક્સપોર્ટ-ઇમ્પોર્ટ અટકી ગયું છે. ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડિયાએ યુદ્ધ પુરૂં થયા બાદ હીરાની ડિમાન્ડ વધતાં ઘરે ઘરે રત્ન કલકારને શોધવા જવા પડશે તેવી આશા વ્યક્ત કરી છે. રફ ટ્રેડિંગનું સૌથી મોટું માર્કેટ દુબઇતેમણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, સુરતની વાત કરીએ તો જેમ્સ એન્ડ જવેલરી સેક્ટર સાથે ડાયરેક્ટ 8થી 10 લાખ લોકો જોડાયેલાં છે. સમગ્ર ગુજરાતમાં લગભગ 17થી 18 લાખ લોકો જોડાયેલા છે. કટ એન્ડ પોલીશ નેચરલ ડાયમન્ડના લેબર વર્ક માટેનું રો મટિરિયલ રશિયા, આફ્રિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાંથી સપ્લાય થાય છે. મુખ્યત્વે રશિયાનો ફાળો છે, જે 30% જેટલો છે.ડીટીસી (ડાયમંડ ટ્રેડિંગ કંપની)નો સપ્લાય પર 45% કન્ટ્રોલ છે. અત્યારે દુબઇ રફ ટ્રેડિંગ માટેનું સૌથી મોટું માર્કેટ બન્યું છે એટલે અત્યારે રો મટિરિયલનું મેઇન સપ્લાયર દુબઇ છે. 6 મહિનામાં આખા વર્ષ જેટલું એક્સપોર્ટદુબઇમાં હીરાનો સારો કારોબાર છે. એપ્રિલ-2024થી માર્ચ-2025ની વાત કરીએ તો 7868.16 મિલિયન ડોલરનું આપણું એક્સપોર્ટ હતું. ચાલુ વર્ષની વાત કરીએ તો એપ્રિલ-2025થી ફેબ્રુઆરી-2026 સુધીમાં 7680 મિલિયન ડોલરનું એક્સપોર્ટ કર્યું છે. ગયું આખું વર્ષ જેટલું એક્સપોર્ટ કર્યું તેટલું એક્સપોર્ટ આ 6 મહિનાના ક્વાર્ટરમાં જ કરી દીધું છે. દુબઇથી જે રફ હીરા ઇમ્પોર્ટ થાય છે તે એપ્રિલ-2024થી માર્ચ-2025 સુધીમાં 11 હજાર 51.38 મિલિયન ડોલરનું હતું અને એપ્રિલ-2025થી ફ્રેબ્રુઆરી-2026 સુધીમાં 9151 મિલિયન ડોલરનું ઇમ્પોર્ટ હતું. ગોલ્ડ અને રફ ડાયમંડનું ઇમ્પોર્ટ ત્યાંથી વધુ થાય છે. નાવડિયાએ જણાવ્યું કે, આ યુદ્ધની અસર ચોક્કસપણે આપણને થશે. રફ હીરાનું ઇમ્પોર્ટ અને કટ એન્ડ પોલીશનું એક્સપોર્ટ વાયા દુબઇ, કતાર અથવા કુવૈત થાય છે. મોટાભાગે દુબઇથી રફ હીરાનું ઇમ્પોર્ટ થાય છે, બાકી યુરોપિયન દેશો જેવા કે બેલ્જિયમ અને બોસ્વાનામાંથી પણ ઇમ્પોર્ટ થાય છે. ત્રણેય દેશો સાથેનું એક્સપોર્ટ-ઇમ્પોર્ટ અટકી ગયું'હું માનું છું કે આ યુદ્ધના કારણે આપણને અસર ચોક્કસ થઇ છે. જે લોકો ચીન પાસેથી ખરીદી કરતાં તે ભારત તરફ વળ્યાં છે એટલે આપણું માર્કેટ અત્યારે ગ્રો કરે છે પણ જો યુદ્ધ લાંબું ચાલશે તો તેની નેગેટિવ ઇફેક્ટ ડાયમંડ ઇન્ડસ્ટ્રી પર ચોક્કસ પડશે જ. ઇઝરાયલ, ઇરાન અને અમેરિકા સાથે જે એક્સપોર્ટ-ઇમ્પોર્ટ થાય છે તે 100% અટકી ગયું છે. છેલ્લાં 2 દિવસના ન્યૂઝ રિપોર્ટ જોઇએ તો ઇરાન તેલ અવીવ પર મિસાઇલ હુમલા કરી રહ્યું છે. જેથી ત્યાંનું માર્કેટ ડિસ્ટર્બ થયું જ હોય.' જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની ખપતનું સૌથી મોટું માર્કેટ અમેરિકા છે. વિશ્વનું 75% માર્કેટ એકલું અમેરિકા છે. અમેરિકાનું ટોટલ માર્કેટ 90 બિલીયન ડોલરનું છે. ઇઝરાયલ સાથે પણ સારો વેપાર થાય છે. એપ્રિલ-2024થી માર્ચ-2025 સુધીમાં ઇઝરાયલમાં આપણું એક્સપોર્ટ 548.87 મિલિયન ડોલર હતું. અમેરિકન ટેરિફમાં રાહત થતાં અને બાકીના ઓપ્શન મળતાં એપ્રિલ-2025થી ફેબ્રુઆરી-2026 સુધીમાં ઇઝરાયલમાં 514 મિલિયન ડોલરનું એક્સપોર્ટ કર્યું હતું. ગયા આખા વર્ષમાં જે એક્સપોર્ટ કર્યું તે આ વર્ષે 6 મહિનામાં જ કરી દીધું છે. ઇઝરાયલના લોકો જે હીરાની ચીનમાંથી ખરીદી કરતા તેને પણ યુદ્ધની અસર થઇ છે. દિનેશ નાવડિયાએ કહ્યું, નેચરલ ડાયમંડના ફેન્સી કલરનું સૌથી મોટું માર્કેટ ઇઝરાયલમાં છે. સોલિટેડ ડાયમંડ (ઉચ્ચ ગુણવત્તાવાળા હીરા)નું ખૂબ સારૂં માર્કેટ પણ ત્યાં છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી યહૂદી પ્રજા ચીનમાંથી ખૂબ સારી ખરીદી કરતી. તેમનું વર્લ્ડ વાઇડ માર્કેટિંગ પણ ખૂબ સારૂં હતું. યુદ્ધના કારણે તેમાં પણ ડિસ્ટર્બન્સ થયું છે. 'દુબઇ એરપોર્ટ ચાલુ છે. અત્યારે 3 દિવસથી મુંબઇ-દુબઇની ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ચાલુ છે. કાર્ગોના પાર્સલ આવવા લાગ્યા છે અને અહીંથી જવા પણ લાગ્યા છે. દુબઇની સરકાર અત્યારે બહુ સ્ટ્રોંગ છે. તેમણે ત્યાં ઔદ્યોગિક મુવમેન્ટ ચાલુ કરી દીધી છે. એ આપણાં માટે રાહતના સમાચાર છે.' લેબગ્રોન ડાયમંડનું માર્કેટ વધ્યુંભારતમાં લેબગ્રોન ડાયમંડનું નવું માર્કેટ ઊભું થયું છે. લેબગ્રોન ડાયમંડનું 70થી 75% મેન્યુફેક્ચરિંગ ભારતમાં થાય છે. કામદારો માટે કામના નવા રિસોર્સ ઊભા થયા છે. લોકો ઘરે ઘરે રત્ન કલાકારો શોધવા જશેતેઓ કહે છે કે, ટેરિફ હટવાના કારણે નેચરલ ડાયમંડની ડિમાન્ડ વધતી જતી હતી સાથે લેબગ્રોન ડાયમંડ પણ ધીરે ધીરે ગ્રોથ પર છે. હું તો વર્કર માટે એવું જોઇ રહ્યો છું કે તેમના માટે સુવર્ણ કાળ આવશે. યુદ્ધ પૂરૂં થયું અને ડિમાન્ડ વધી તો આપણી પાસે વર્કફોર્સ તો એટલો જ છે. લોકો ઘરે ઘરે કારીગરો ગોતવા માટે જશે. આ પરિસ્થિતિ હું જોઇ રહ્યો હતો ત્યાં યુદ્ધ આવી ગયું એટલે થોડું અટક્યું પણ યુદ્ધ લાંબુ નહીં ચાલે એવું બધાં લોકો અનુમાન કરી રહ્યાં છે. તેમણે રત્ન કલાકારો માટે જણાવ્યું હતું કે, હું ચોક્કસથી કહીશ કે તેમના માટે સારો પીરિયડ આવી રહ્યો હતો પણ એક વિધ્ન આવ્યું છે. આપણે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ કે આ વિધ્ન તાત્કાલીક દૂર થાય. અત્યારે ગ્રાહકો માટે પણ ગોલ્ડન પીરિયડ છે. નેચરલ ડાયમંડ, લેબગ્રોન ડાયમંડની પ્રાઇઝ એકદમ ડાઉન છે. આ પરિસ્થિતિમાં કોઇ ગ્રાહક એમ ઇચ્છે કે મારે નેચરલ ડાયમંડની જ્વેલરી કે લેબગ્રોન ડાયમંડની જ્વેલરી પહેરવી છે તો તેના માટે આ સારો મોકો છે.
ભાવનગરના આંગણે બોલિવૂડની સેલિબ્રિટીઓની ઉપસ્થિતિ વચ્ચે રવિવારે વહેલી સવારે કેરીસિલ મેરેથોન યોજાનાર છે, જેના માટે અત્યાર સુધીમાં 5000થી વધુ લોકો નોંધણી કરાવી ચૂક્યા છે. આ મેરેથોનના રેસ ડિરેક્ટર લિહાસ ત્રિવેદીના જણાવ્યા મુજબ,દોડ માટે 3 કિ.મી., 5 કિ.મી., 10 કિ.મી. અને 21.5 કિ.મી. જેવા અલગ-અલગ રૂટ રાખવામાં આવ્યા છે. જવાહર મેદાન ખાતેથી વહેલી સવારે 4.30થી સ્પર્ધા શરૂ થઇ જશે અને 9.30 કલાક સુધી અલગ અલગ સ્પર્ધા ચાલશે. તમામ રૂટ પર દોડવીરો માટે હાઈડ્રેશન સુવિધા ઉપલબ્ધ રહેશે. દોડવીરોની સુરક્ષા અને આરોગ્યને ધ્યાનમાં રાખીને તમામ રૂટ પર મેડિકલ પોઇન્ટ રાખવામાં આવ્યા છે અને દોડવીરોને મદદ કરવા માટે 50 ફિઝિઓથેરાપિસ્ટ પણ હાજર રહેશે. સાથે સાથે 3 ICU on Wheel ની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. આ મેરેથોનમાં અત્યાર સુધીમાં 5000 થી વધુ લોકો નોંધણી કરાવી ચૂક્યા છે. ભારતના વિવિધ રાજ્યો જેમ કે આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાંથી પણ દોડવીરો આ મેરેથોનમાં ભાગ લેવા માટે ભવનગર આવી રહ્યા છે. ભાવનગરના ઈતિહાસમાં પ્રથમ વખત આ મેરેથોનમાં જાણીતી અભિનેત્રીઓ ઈશા દેઓલ, કરિશ્મા તન્ના અને ડાયના પેન્ટી તેમજ આર.જે. મેઘા ઉપસ્થિત રહેશે. નાગરિકોના સ્વાસ્થ્યને મેરેથોન સાથે જોડાયુકેરીસિલ લિમિટેડના સીએમડી ચિરાગ પારેખના મતે, ભાવનગરના લોકો કોઇપણ સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા રહે, સ્વસ્થ રહે અને શહેરને પણ સ્વચ્છ રાખે તેવા હેતુથી કેરીસિલ લિમિટેડ દ્વારા મેરેથોન દોડનું આયોજન કરાયું છે.
ગેસ અછતથી ઉદ્યોગો પર સંકટ:ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર અલંગ સુધી
મધ્ય-પૂર્વમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુધ્ધ અને સૈન્ય અથડામણનો પ્રભાવ હવે વૈશ્વિક ઊર્જા બજાર પર સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. ગલ્ફ વિસ્તારમાંથી ઊર્જા પુરવઠામાં અવરોધ ઊભો થતા વિશ્વભરમાં ગેસ અને તેલના પુરવઠા પર અસર પડી છે. આ પરિસ્થિતિનો સીધો પ્રભાવ ભાવનગરના અલંગ શિપ રીસાયકલિંગ સહિતના ગુજરાતના ઉદ્યોગો પર પણ પડ્યો છે. ઉદ્યોગોની કામગીરી અટકી ન જાય તેવા હેતુથી જીપીસીબી દ્વારા હંગામી ધોરણે માન્યતા પ્રાપ્ત વૈક્લ્પિક ઇંધણના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. વિશ્વના મહત્વપૂર્ણ તેલ માર્ગ તરીકે ઓળખાતા હોર્મુઝ જળમાર્ગમાં તણાવ વધતા ઊર્જા સપ્લાયમાં વિક્ષેપ સર્જાયો છે, જેના કારણે અનેક દેશોમાં ગેસ અને તેલના ભાવમાં વધારો તેમજ પુરવઠાની અછત જોવા મળી રહી છે. આ પરિસ્થિતિના પરિણામે ગુજરાતમાં ઉદ્યોગોને પૂરું પડતું ગેસ મળવામાં મુશ્કેલી ઉભી થઈ છે. ભાવનગર જીલ્લાના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં જહાજ ભાંગવાની કામગીરીમાં ઓક્સિજનની સાથે એલપીજીના સમન્વયથી કટિંગ કામગીરી કરવામાં આવે છે. એલપીજીના પુરવઠાને અસર થતા ગણ્યા-ગાંઠ્યા જહાજો અલંગમાં છે તેને પણ અસર પહોંચી રહી છે, ઉત્પાદનમાં કાપ મુકવાના વારા આવી શકે તેમ છે. ગેસ સપ્લાયમાં ઘટાડા કારણે કેટલીક ઔદ્યોગિક એકમોને ઉત્પાદન ઘટાડવું પડ્યું છે, જ્યારે કેટલાક ઉદ્યોગો પર બંધ થવાની ભીતિ પણ ઊભી થઈ છે. ખાસ કરીને ગેસ આધારિત સિરામિક, કેમિકલ અને અન્ય ઉત્પાદન ક્ષેત્રો પર તેની અસર જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)એ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ, ગેસ પુરવઠામાં ઘટાડા કારણે ઉદ્યોગોની કામગીરી અટકી ન જાય તે માટે હંગામી ધોરણે માન્યતા પ્રાપ્ત પ્રવાહી બળતણ (liquid fuel)ના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે.
નિમણૂક:કોર્પોરેશનના 11મા વહીવટદાર તરીકે આઈએએસ હર્ષદ પટેલ
ભાવનગર મહાનગરપાલિકાની વર્તમાન ટર્મની આગામી 9મી માર્ચ અંતિમ દિવસ છે, જેથી 10 ની માર્ચ પછીથી જ્યાં સુધી નવી બોડી આવે નહીં ત્યાં સુધી સરકારે ભાવનગર કોર્પોરેશનના એડમિનિસ્ટ્રેટર તરીકે પૂર્વ કલેકટર અને રાજ્ય સરકારના સેક્રેટરી આઈએએસ હર્ષદકુમાર પટેલની નિયુક્તિ કરી છે. ભાવનગર કોર્પોરેશનના ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓની આગામી 9મી માર્ચે મુદ્દત પૂર્ણ થશે. 9મી માર્ચે વર્તમાન સભ્યોની અંતિમ સાધારણ સભા મળશે. ત્યારબાદ કોર્પોરેશનની ચૂંટણી યોજાયા બાદ પ્રથમ સાધારણ સભા સુધી એડમિનિસ્ટ્રેટર તરીકે હર્ષદકુમાર પટેલની રાજ્ય સરકાર દ્વારા નિયુક્તિ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીએ છે કે, આઈએએસ હર્ષદકુમાર પટેલ હાલમાં સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી તરીકે છે. જેઓ ભાવનગર કલેકટર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. ભાવનગર કોર્પોરેશનમાં 1982 થી 2026 સુધીમાં કુલ 10 વહીવટદારો નિયુક્ત થયા હતા અને હવે હર્ષદ પટેલ 11 મા વહીવટદાર આવશે. જેથી ભાવનગર કોર્પોરેશનમાં કમિશનર તરીકે આઈએએસ ઓફિસર ડો. નરેન્દ્રકુમાર મીના અને વહીવટદાર તરીકે આઈએએસ હર્ષદ પટેલ ફરજ બજાવશે.
વેધર રિપોર્ટ:ગરમીમાં વધઘટ, શહેરમાં બપોરે તાપમાન વધીને 35 ડિગ્રી થયુ
ભાવનગર શહેરમાં ગરમીમાં વધઘટ થઇ રહી છે. માર્ચના પ્રથમ સપ્તાહના અંતે મહત્તમ તાપમાન વધીને 35 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા બપોરે ગરમી વધી છે. જ્યારે રાત્રે ઉષ્ણતામાન ઘટીને 20.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. પવનની ઝડપ પણ ઘટીને આજે 6 કિલોમીટરથી 8 કિલોમીટર નોંધાઇ હતી. આગામી દિવસોમાં ગરમીનો પારો ઉચકાતા બપોરે તાપમાન પુન: 37 ડિગ્રી સેન્ટીગ્રેડ થાય તેવી શક્યતા છે. આજે લઘુત્તમ ઉષ્ણતામાન ઘટ્યું હતુ. 24 કલાક અગાઉ શહેરમાં રાતનું ઉષ્ણતામાન 21.2 ડિગ્રી હતુ તે આજે ઘટીને 20.8 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ. આજે બપોરનું તાપમાન સામાન્યથી 1.5 ડિગ્રી વધુ નોંધાયુ હતુ જ્યારે રાતનું તાપમાન પણ 1.3 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયુ હતુ. ખાસ તો ઉત્તર પશ્ચિમ દિશાના પવનની ઝડપ પણ ઘટી ગઇ હતી. આજે સવારે પવનની ઝડપ 8 કિલોમીટર હતી તે સાંજે વધુ ઘટીને 6 કિલોમીટર નોંધાઇ હતી. બપોરે તાપમાનમાં વધઘટ રાત્રે તાપમાનમાં વધઘટ
સન્ડે બિગ સ્ટોરી:ઈલેકશન હોય કે સિલેકશન, એક જ સૂર, રાજકીય હાથો નહીં મહાજનનો બુલંદ અવાજ બને ચેમ્બર
ભાવનગરના વેપારીઓ અને ઉદ્યોગ ધંધાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે બનેલું સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ છેલ્લા લાંબા સમયથી મહાજનનો અવાજ નહીં પરંતુ રાજકીય હાથો બની ગયું છે. ત્યારે આગામી 21મી માર્ચે યોજાનાર ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં ઇલેક્શન થાય કે સિલેક્શન તેમાં મહાજનોને રસ નથી, પરંતુ તેઓની સમસ્યાઓ અને ભાવનગર શહેરના ઉદ્યોગ ધંધાના વિકાસ માટે ચેમ્બર તટસ્થ રીતે સ્ટેન્ડ લે તેવી મહાજનોમાં માંગ ઉઠી છે. ભાવનગરના મહાજનોના પ્રતિનિધિઓના સંગઠન એવા સૌરાષ્ટ્ર ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની મેનેજિંગ કમિટી અને પ્રમુખ ઉપપ્રમુખની બે વર્ષની આગામી 30મી જૂનના રોજ મુદ્દત પૂર્ણ થાય છે. પરંતુ ચેમ્બરની કાર્યપદ્ધતિ મુજબ ત્રણ મહિના અગાઉ ચૂંટણી કરવામાં આવશે. શહેરના જુદા જુદા ક્ષેત્રના વેપારીઓ અને ઉદ્યોગ ધંધા સાથે સંકળાયેલા 1100થી વધું સભ્યો ચેમ્બર ઓફ કોમર્સ સાથે જોડાયેલા છે. તેમના પ્રતિનિધિઓ તરીકેના મેનેજિંગ કમિટીના સભ્યો તેમજ પ્રમુખ, ઉપપ્રમુખની આગામી 21મી માર્ચના રોજ ચૂંટણી યોજાનાર છે. આગામી 9મી માર્ચે ફોર્મ ભરવાના અંતિમ દિવસે દાવેદારોના ફોર્મ ભરાશે. જોકે, 12મી માર્ચના રોજ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ચેમ્બરની પ્રણાલી મુજબ સેક્રેટરી હોય તે ઉપપ્રમુખ પદે અને ઉપપ્રમુખ હોય તે પ્રમુખ પદે ચૂંટણી વગર નિયુક્ત કરતા હોય છે. અને ચૂંટણી નહીં કરવા માટેના જ સતત પ્રયાસો રહેતા હોય છે. મેનેજિંગ કમિટીમાં જે સભ્ય સંખ્યા ગત ટર્મ સુધી 30ની હતી, તે આ વખતે 40 ની થઈ ગઈ છે. ભાવનગરના વેપારીઓ અને ઉદ્યોગકારોને ચૂંટણી કે બિનહરીફમાં રસ નથી, પરંતુ તેઓના પ્રશ્નો અને સમસ્યાનો ખોખારો ખાઈ રાજ્ય કે કેન્દ્ર સરકાર સુધી અવાજ પહોંચાડે તેવા સંગઠનની આવશ્યકતા છે. છેલ્લા લાંબા સમયથી ચેમ્બર ઓફ કોમર્સ રાજકીય હાથો બની રઔપચારિકતા વચ્ચે રાજકીય આગેવાનોના સન્માન અને જીહજુરીમાં વ્યસ્ત રહે છે. ત્યારે રાજકીય આગેવાનો અને પ્રજાના પ્રતિનિધિઓ સામે આંખ ઉંચી કરી ભાવનગરના અનેક પડતર પ્રશ્ન નિરાકરણ સુધી પહોંચાડે તેવી મહાજનોમાં પ્રબળ માંગ ઉઠી છે. નેતાઓની લાજ કાઢવાથી ઉદ્યોગોનું હિત જોખમમાં, આટલી રજૂઆત નજરઅંદાજસૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ભાવનગરના જુદા જુદા પ્રશ્ને સરકારમાં રજૂઆત કરાઈ છે. પરંતુ નેતાઓની લાજ કાઢવાના કારણે આ રજૂઆતો માત્ર ઔપચારિક બની રહે છે, સરકાર હૈયાધારણા આપે એટલે બેસી જાય છે. માઢીયા GIDCમાં વ્હીકલ સ્ક્રેપ યાર્ડ બનાવવું, ખેતા ખાટલીમાં 10 લાખ ચોરસ મીટર જગ્યામાં કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ બેઝ GIDCની સ્થાપના, પોર્ટ ડેવલોપમેન્ટ, નિયમિત કનેક્ટિવિટી સહિતના મુદ્દા સરકારે નજરઅંદાજ કર્યા છે. ફ્લાઇટ, GIDC, GST સહિતના પ્રશ્ને રજૂઆત કરી હતીભાવનગર તથા સમગ્ર સૌરાષ્ટ્રના વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રના પ્રશ્નોને પ્રાથમિકતા આપી ચેમ્બર દ્વારા ભાવનગરમાં એર કનેક્ટિવિટી. જીએસટી, પોર્ટ, ધોલેરા અને જીઆઇડીસી સહિતના વિવિધ પ્રશ્ને રજૂઆતો કરાઈ હતી. ચેમ્બર દ્વારા વેપારીઓ અને ઉદ્યોગકારોના હિતોને ધ્યાનમાં રાખી વિવિધ સરકારી વિભાગો સાથે સંવાદ સાધવામાં આવ્યો છે. > પ્રકાશભાઈ ગોરસીયા, પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ કનેક્ટિવિટી, નવા ઉદ્યોગ માટેના નિષ્ફળ પ્રયત્નોભાવનગર શહેરમાં નવા ઉદ્યોગ ધંધા આવે અને ખાસ કરીને કનેક્ટિવિટી મળી રહે તે માટે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રયત્ન હોવા જોઈએ. છેલ્લા ઘણા સમયથી ભાવનગરમાં કોઈ નવા ઉદ્યોગ ધંધા શરૂ તો થતા નથી પરંતુ છે તે પણ બંધ થતા જાય છે. તેમજ હવાઈ અને રેલવે કનેક્ટિવિટીના પણ પ્રશ્ન કાયમી ઉકેલ આવ્યો નથી. છ ઉદ્યોગકારો અને વેપારીઓ અપુરતી હાજરીના કારણે ડિસક્વોલિફાઈડ થઈ શકે છેચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીમાં યોજાતી બેઠકો દરમિયાન સભ્યોને ફરજિયાત 50% હાજરી હોવી જોઈએ. પરંતુ વર્તમાન મેનેજિંગ કમિટીમાં નિયમ મુજબ મિટિંગમાં 50% હાજરી નથી તેવા બે થી ત્રણ ઉદ્યોગકારો અને ચારથી પાંચ વેપારીઓ ડિસક્વોલિફાઈડ થઈ શકે છે. જેઓ સભ્યપદ ગુમાવશે.
મહિલા દિન વિશેષ:પતિને કેન્સર મટાડીને લેખિકા અને મોટીવેશનલ સ્પીકર બન્યા
કેન્સર બીમારીનું નામ સાંભળીને ભલભલાને ડર લાગી જાય, પરંતુ હવે સમાજમાં એવા કેટલાય વ્યક્તિઓ એવા જોવા મળે છે કે જે આ બીમારીનો સામનો કરીને પોતે પણ કેન્સરને હરાવી દે છે અને બીજાને પણ હરાવી દેવામાં મદદરૂપ થાય છે.આવા જ એક વ્યક્તિ ભાવનગરના વર્ષાબેન જાની છે. જોકે તેમને પોતાને નહીં પણ તેમના પતિ નિલેશભાઈને કેન્સરની બીમારી હતી. પરંતુ વર્ષાબેને તેમને તો ઉગારી જ લીધા ઉપરાંત હવે કેન્સર પીડિતોને બચાવવા સાથે પોતે રચનાત્મક માર્ગે વળીને લેખક અને મોટીવેશનલ સ્પીકર બની ગયા છે.તેઓ એક એવા સંઘર્ષશીલ મહિલા છે કે જેમણે વિપરીત પરિસ્થિતિમાં અનેક સંઘર્ષો વચ્ચે પોતે સફળતાનો માર્ગ બનાવ્યો છે. ભાવનગરના મહિલા લેખિકાઓમાં અને કવિયત્રીઓમાં વર્ષાબેનનું નામ સંઘર્ષશીલ નારી તરીકે આદરથી લેવામાં આવે છે. તેમણે સંસ્કૃત અને ગુજરાતી વ્યાકરણના પુસ્તકો લખવા સાથે કેન્સરથી બચી પણ શકાય છે અને તેને મટાડીને અટકાવી પણ શકાય છે તે પ્રકારે પુસ્તકો લખીને સન્માનો મેળવ્યા છે.15 વર્ષ પહેલા જ્યારે પતિને આ પ્રકારની બીમારીની જાણ થઈ ત્યારે તેમણે હારીને થાકવાને બદલે લડવાનો રસ્તો પસંદ કર્યો અને હિંમતપૂર્વક સામનો કરીને પતિને બચાવી લીધા છે.એ વાતને પણ આજે એક દસકો થઈ ગયો છે. તેઓ માત્ર એ રીતે જ સફળ નથી થયા પરંતુ પોતાની કારકિર્દી પણ સુંદર રીતે ઘડી છે.હાલ તેઓ કોઈને પણ કેન્સર થાય તો તેમના કાઉન્સેલિંગ માટે વિના મૂલ્ય સેવા આપે છે અને સાથે સાથે મોટીવેશનલ સ્પીકર તરીકે તેમના વક્તવ્ય ગોઠવાતા રહે છે.એક નારી કઈ રીતે સબળા બની શકે તેનું ઉત્તમ ઉદાહરણ વર્ષાબેન જાની છે. પ્રથમ પુસ્તક છપાવવા માટે પૈસા નહોતા..એક સમયે પુસ્તકોનું લખાણ તો તૈયાર કરી દીધું હતું પરંતુ તેને છપાવવા માટેનો ખર્ચ પરવડે તેમ નહોતો.એ તેમનું પહેલું પુસ્તક હતું પરંતુ દાતાઓના માધ્યમથી પ્રથમ પુસ્તક પ્રકાશિત થયું અને પછી તેમની કલમ અટકી નથી. બાળપણથી જ તેમને લેખન અને કલામાં રસ રુચિ હતા.ધોરણ નવમાં સૌ પ્રથમવાર કવિતા લખેલી અને કોલેજકાળ દરમિયાન સૌ પ્રથમ લઘુ કથા લખી હતી. પછી ઘરની જવાબદારીઓ અને તેમના પતિને કેન્સરની બીમારીને કારણે વચ્ચેનો સમય ગાળો મુશ્કેલીરૂપ બન્યો હતો.પરંતુ તે મુશ્કેલીઓને તેમણે રચનાત્મક માર્ગે વાળીને આજે લેખિકા તરીકેનું સ્થાન મેળવી લીધું છે
ભાસ્કર એક્સક્લુસિવ:મહિલા ITI સહિત પાંચ ITI હાઇટેક બનાવાશે, મજૂરાગેટ બનશે હબ
આજે વિશ્વ મહિલા દિવસ છે, ત્યારે સુરતની દીકરીઓ માટે ટેકનિકલ શિક્ષણના ક્ષેત્રમાં સુવર્ણ યુગના મંડાણ થયા છે. કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી PM SETU યોજના હેઠળ સુરત જિલ્લાની 5 સરકારી ITI પસંદગી કરાઇ છે. આ પ્રોજેક્ટ હેઠળ મજુરાગેટ ITI ને ‘હબ’ બનાવાશે. જ્યારે તેની સાથે સંકલન કરી ભીમરાડ મહિલા ITI, સચિન મહિલા ITI, હજીરા ITI અને બારડોલી ITI ‘સ્પોક’ સંસ્થાઓ તરીકે કાર્યરત રહેશે. આ પાંચેય ITI હવે ‘આત્મનિર્ભર ભારત’ની આધુનિક વર્કશોપ તરીકે ઓળખાશે. વર્ષો જૂના અભ્યાસક્રમોને સ્થાને સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ, ડ્રોન ટેકનોલોજી અને રોબોટિક્સ જેવા નવા 10 કોર્સ શરૂ કરાશે. ઉદ્યોગો સાથે આ સંસ્થાઓ જોડાઈને વિદ્યાર્થીઓને ‘રેડી-ટૂ-વર્ક’ ટ્રેનિંગ આપશે. શું છે PM SETU યોજના?કૌશલ્ય વિકાસ માળખાને વૈશ્વિક સ્તરનું બનાવવા ‘પીએમ સેતુ’ યોજના માટે 60 હજાર કરોડનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે. આ યોજના હેઠળ દેશમાં ‘હબ એન્ડ સ્પોક’ મોડેલ અમલી બનશે, જેમાં પસંદગીની સંસ્થાઓને અત્યાધુનિક લેબ્સ સાથે સજ્જ કરવામાં આવશે. મારા કામની વાત વિદ્યાર્થીઓને શું સીધો ફાયદો થશે?
અવરોધરૂપ મકાનો હટાવાશે:MMTH પ્રોજેક્ટમાં નડતા 300 મકાનો તોડવામાં આવશે
મહાનગરપાલિકા દ્વારા સુરત રેલવે સ્ટેશન રિ-ડેવલપમેન્ટ અંતર્ગત બની રહેલા મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ (MMTH) પ્રોજેક્ટને આગળ વધારવા માટે અવરોધરૂપ બાંધકામો દૂર કરવાની કાર્યવાહી સાથે અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ ફાળવવાની તૈયારી હાથ ધરાઈ છે. આ માટે પાલિકા ખાસ પોલિસી બનાવશે જેથી પ્રોજેક્ટથી અસર પામતા કુટુંબોને પાલિકા સંચાલિત અલથાણ, ગોટાલાવાડી અને આંજણા ટેનામેન્ટમાં ઉપલબ્ધ વધારાના આવાસો નક્કી ભાવે ફાળવી શકાશે. પાલિકાના એફોર્ડેબલ હાઉસિંગ સેલે કહ્યું કે, MMTH પ્રોજેક્ટ માટે સંપાદન કરાયેલી જમીનમાં હાલમાં લગભગ 300 મકાનો અવરોધરૂપ હોવાનું સર્વે દરમિયાન સામે આવ્યું છે. પ્રોજેક્ટના અમલ દરમિયાન અસરગ્રસ્તોને સુરત મહાનગરપાલિકા પાસે વિવિધ રી-ડેવલપમેન્ટ ટેનામેન્ટમાં ઉપલબ્ધ વધારાના આવાસોમાં સ્થાન આપવા SITCO દ્વારા માંગ કરાઈ હતી. જરૂર પડી તો પાલિકા અસરગ્રસ્તોને અલથાણ, ગોતાલાવાડી અને આંજણામાં મકાન ફાળવશે.
બેંક ખાતા ફ્રિઝ મામલે નવી SOP:સાયબર ક્રાઈમમાં એફઆઇઆર વિના પોલીસ બેન્ક ખાતુ ફ્રિઝ નહીં કરી શકે
કેન્દ્રના મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા સાયબર ફ્રોડના કેસોમાં બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા મામેલ નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરી છે. જીજેઈપીસીના ચેરમેન જયંતી સાવલિયા અને ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટીટ્યુટના ચેરમેન દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે, ‘ઘણી વખત સાયબર ફ્રોડની ચેઇન ટ્રાન્ઝેક્શનના કારણે નિર્દોષોના ખાતા ફ્રીઝ થઈ જતા હતા. નવી SOPથી હવે માત્ર શંકાસ્પદ રકમ પર હોલ્ડ મુકાતા દૈનિક ટ્રાન્ઝેક્શન ચાલુ રાખી શકાશે.પારદર્શક પ્રક્રિયાથી ડિજિટલ પેમેન્ટમાં લોકોનો વિશ્વાસ વધશે. ભાસ્કર એનાલિસીસ
સન્ડે ફોટો સ્ટોરી:જાહેરાતોના 15 વર્ષ પછી ડુમસ સી-ફેસ આજથી લોકો માટે ખુલ્લો મુકાશે
ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું આયોજન છેલ્લા પંદરથી વિચારાધીન હતું. જોકે, તેના નક્કર આયોજનની ગતિ 2017-18 માં વધી જ્યારે ‘કોસ્ટલ રેગ્યુલેશન ઝોન’ (CRZ) માટે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. પરંતુ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા (ફેઝ-1)ની પ્રત્યક્ષ કામગીરી માટેનો વર્ક ઓર્ડર છેક 22 ડિસેમ્બર 2023 ના રોજ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ પ્રોજેક્ટના પેકેજ-1 નું વિધિવત ખાતમુહૂર્ત 24 ડિસેમ્બર 2023 ના રોજ કરવામાં આવ્યું હતું. રવિવારે કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલના હસ્ત તેનું લોકાર્પણ કરવામાં આવશે. - રીતેશ પટેલ
શહેરમાં પારિવારિક સંબંધોમાં આશ્ચર્ય પમાડે એવી એક શર્મજનક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં શહેરના વિમલનગર વિસ્તારમાં રહેતા એક મુસ્લિમ પરિવારની દીકરીના જૂનાગઢ રહેતા સગા મોટા કાકીએ જ દીકરીની બદનામી કરતા ફોટો કુટુંબમાં ફરતા કરી દીધા હતા. મામલો થાણે પહોંચતા જૂનાગઢમાં રહેતા દંપતી વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. આ બનાવમાં શહેરના વિમલનગર મેઈન રોડ પાસે રહેતા અને બેંકમાં નોકરી કરતા પ્રૌઢે યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે તેના જ સગા મોટા ભાઈ સલીમ હાલા અને ભાભી નાઝીમા હાલાના નામ આપ્યા હતા. પ્રૌઢ ફરિયાદમાં જણાવે છે કે, ગત તા.04/03/2026ના રોજ બપોરના સમયે તેનાથી મોટા ભાઈ ઈસ્માઈલનો તેને કોલ આવ્યો હતો કે, નાઝીમા ભાભીએ તારી દીકરીના અન્ય યુવક સાથેના ફોટા તેના ફોનમાં મોકલેલ છે અને મેસેજમાં નીચે લખેલ છે કે, “તમે મારી દીકરીના કેસમાં ખોટી દખલગીરી કરતા બંધ થાવ નહીંતર હજુ બીજા ફોટા પણ મોકલીશ તો તમારે દવા પીવાનો વારો આવશે’. ત્યારબાદ અન્ય મોટાભાઈનો પણ તેના પર કોલ આવ્યો કે, તારી દીકરીના ફોટા નાઝીમા ભાભીએ મને પણ મોકલીને ડિલીટ કરી નાખ્યા છે. જે બાદ દીકરીના પિતાએ એ જ ફોટો દીકરીને મોકલ્યા તો તેણીએ કહ્યું કે, આ એ જ જૂનાગઢવાળો છોકરો છે જેની સાથે મેં પરિચય કેળવ્યો બાદમાં હકીકત માલૂમ પડતાં સંબંધ તોડી નાખ્યો હતો. ત્યારબાદ ગત તા.5/03ના સાંજના છ વાગ્યે દીકરીના મામાનો પણ દીકરીના પિતા પર કોલ આવ્યો અને તેણે પણ એ જ જણાવ્યું કે, તમારા ભાભીનો મારા પર કોલ આવ્યો’તો અને તેણીએ દીકરીના ફોટા પણ મોકલ્યા હતા. જે બાદ કોલમાં એમ કહ્યું હતું કે, તમારી ભાણીના બધે ફોટા વાઇરલ કરી દઈશ મારા ઘરની આઘી પાછી કરી છે તો, ભાણીનું ક્યાંય સગપણ થશે તો પણ ન્યૂડ ફોટા મોકલી સગપણ તોડાવી નાખીશ. જે બાદ યુવતીના પિતાએ તેના ભાઈ અને ભાભી વિરુદ્ધ દીકરી તથા પરિવારની ગરિમાને ઠેંસ પહોંચાડી માનસિક ત્રાસ આપી હેરાન પરેશાન કરતા હોવાનું યુનિવર્સિટી પોલીસને જણાવતા પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરની ભાગોળે આવેલા મેટોડામાં રહેતા માજી સરપંચ અને તેના પરિવારજનો પર હાલના મહિલા સરપંચના પતિ-પુત્ર સહિત ચારે અગાઉના ઝઘડાનો ખાર રાખી હુમલો કરી ધમકી આપી હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મેટોડામાં રહેતી અને બ્યુટી પાર્લર ચલાવતી મનસ્વીબેન શૈલેષભાઈ વેકરિયાએ મેટોડા પોલીસ મથકમાં મહિલા સરપંચના પતિ જેન્તીભાઈ અમરશીભાઈ સભાયા, તેનો પુત્ર પાર્થ, મૌલિક અને રાજેશ ગોરધન સભાયા વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.6ના તેણી માતા સાથે હેરિયર કાર લઈ નાસ્તો કરવા જતા હતા, દરમિયાન હનુમાન મંદિર પાસે પહોંચતા કારના ટાયરમાં હવા ઓછી હોય જેથી તેણીએ ગાડી ઊભી રાખી તેની માતાને તપાસવા નીચે ઉતરવાનું કહ્યું હતું. જે દરમિયાન ચારેય આરોપી તેના ઘર પાસે બેઠા હતા. અગાઉ તેણીના પિતા શૈલેષભાઈ ગામના માજી સરપંચ હોય અને હાલમાં જેન્તીભાઈના પત્ની ગામના સરપંચ હોય જેથી અગાઉ તેની સાથે થયેલા ઝઘડાનો ખાર રાખી તેણીની માતાને ગાળો ભાંડવા લાગ્યા હતા. જેથી તેણીએ કારમાંથી ઉતરી ગાળો ન બોલવાનું કહેતા આ રાજેશે ઉશ્કેરાઈને તેણીને લાફો ઝીંકી તેમજ પાર્થે માતા-પુત્રીને ધમકી આપી ઝપાઝપી કરી તેણીનું ટીર્શટ ખેંચી માર માર્યો હતો. જે બાદ તેણીએ તેના પિતા-ભાઈને જાણ કરી બોલાવતા પિતા-પુત્ર અને રાજેશ દોડીને ઘરમાંથી ધોકો લઈ આવી કારના પાછળના ભાગે તેણીની ગાડીના કાચ તોડી નાખી તેમાં નુકસાન કર્યું હતું. બાદ તેણીના પિતા-ભાઈને પણ ધોકો મારી ધમકી આપ્યાનું જણાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં કાયદો-વ્યવસ્થા મજબૂત બનાવવા અને પારદર્શક કામગીરી માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા લેવાતા પ્રયત્નો નોંધપાત્ર રહ્યા છે. જ્યારે બીજીબાજુ બી-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે નજર સામેથી બે શખ્સ હાથમાં ધારિયું લઈને નાસી છૂટ્યા હતા, પણ પોલીસે તેનો પીછો સુદ્ધા ન કરી ઘટનાસ્થળે હાજર તેમજ માથાકૂટમાં જ સામેલ એક યુવકને ફરિયાદ નોંધાવી હોય તો પોલીસ મથકે પહોંચી જવું તેમ કહ્યું અને પોલીસ કારને પોલીસ મથકે લઈને આવી પહોંચી હતી. બાદમાં પાર્કિંગમાં રાખેલી કારની તલાશી લેતા તેમાંથી ઘાતક હથિયારો અને સોડાની ખાલી બોટલો મળી આવતા બી-ડિવિઝન પોલીસ મથકમાં પોલીસે જ ફરિયાદી બની બે શખ્સ સામે ગુનો નોંધ્યો છે. ગત તા.05/03 રાત્રે 11 વાગ્યે બી-ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મોરબી રોડ જકાતનાકા નજીક એક સિલ્વર કલરની ઓડી કાર પાસે કેટલાક ઇસમો જોરજોરથી દેકારો કરતા જોવા મળ્યા હતા, જેમાંથી એક ઇસમના હાથમાં ધારિયું જોવા મળ્યું હતું. પોલીસને જોઈને બે શખ્સ ત્યાંથી નાસી છૂટ્યા હતા, જ્યારે સ્થળ પર હાજર નૈમિષ ગોહેલ નામના યુવકે જણાવ્યું હતું કે, તેની સાથે હર્ષદીપ ખાચર અને અન્ય એક અજાણ્યો શખ્સ ઝઘડો કરી રહ્યા હતા. યુવકના જણાવ્યા મુજબ, આ કાર હર્ષદીપ ખાચર લઈને આવ્યો હતો. વધુમાં ફરિયાદમાં જણાવ્યા મુજબ તા.06/03/2026ના સાડા ત્રણેક વાગ્યા આસપાસ આ નૈમિષ ગોહેલ રૂબરૂ પોલીસ મથકે આવ્યો હતો બાદમાં નૈમિષે પોલીસને જણાવ્યા મુજબ તે કોઈ ફરિયાદ નોંધાવવા ઈચ્છતો ન હોય તેની આ હર્ષદીપ ખાચર સાથે સમાધાનની વાત ચાલી રહી હોવાનું જણાવી તે પોલીસ સ્ટેશનેથી જતો રહ્યો હતો. બાદમાં પોલીસે 6 તારીખે જ રાત્રે સાડા આઠેક વાગ્યા આસપાસ જપ્ત કરેલી ઓડી કારની તલાશી લેતા કારમાંથી બે ધારિયા, ત્રણ સ્ટીલની છરીઓ, 48 કાચની ખાલી બોટલો અને કારની નંબર પ્લેટ મળી આવી હતી. બાદમાં પોલીસે જ ફરિયાદી બની હથિયારબંધી, જાહેરનામાના ભંગ અને ખોટી નંબર પ્લેટ લગાડવા બદલ ગુનો નોંધ્યો હતો. પોલીસનું માનવું છે કે, આ શખ્સો કોઈ ગંભીર ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવાના ઇરાદે નીકળ્યા હતા, પરંતુ પોલીસ સમયસર આવી પહોંચતા મોટી માથાકૂટ ટળી હતી.
ધમકી આપી:સોશિયલ મીડિયા પર વીડિયો મૂકતા પત્રકારને ફોનમાં ધમકી
રાજકોટના એક પત્રકારને સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોને પોસ્ટ કરવાના મુદ્દે મોબાઇલ ફોન પર ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે પોલીસે આબીદ નામના એક શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 150 ફૂટ રિંગ રોડ પર શીતલપાર્ક સર્કલ પાસે રવિરાંદલ પાર્ક શેરી નં.3માં રહેતા મયૂરસિંહ કિરીટસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવી છે. તેઓ એક અખબારના સંચાલન સાથે જોડાયેલા હોવાનું જણાવાયું છે. ગત તા.5 માર્ચ 2026ના રોજ તેઓ જાગનાથ વિસ્તારમાં હતા ત્યારે તેમને ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતે આબીદ હોવાનું કહી સોનીબજારના વેપારીઓ હિરેન લોઢિયા, નિલેશ કુંભાણી અંગેનો વીડિયો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર મૂકીને પોતાની બદનામી કરવામાં આવી હોવાનું કહ્યું હતું. ફરિયાદીએ જવાબમાં જણાવ્યું હતું કે વીડિયો પહેલેથી જ સોશિયલ મીડિયામાં ફરતો હતો અને તેમની પાસે પહોંચતા પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વાતથી ઉશ્કેરાયેલા આબીદે “તમને જોઈ લઈશ, ક્યાંય મળશો તો જોવા જેવી થશે” કહી ગર્ભિત ધમકી આપ્યાનો આક્ષેપ છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
રાજકોટ કોંગ્રેસમાં ખળભળાટ:પૂર્વ MLA રાજ્યગુરુની અચાનક જ નિવૃત્તિ,
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના માહોલ વચ્ચે કોંગ્રેસને રાજકોટમાં મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. રાજકોટ-68ના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના લડાયક નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ અચાનક રાજકીય તથા સામાજિક નિવૃત્તિ જાહેર કરતા પાર્ટીમાં ખળભળાટ મચ્યો છે. કોર્પોરેટરથી લઈને શહેર પ્રમુખ અને ધારાસભ્ય સુધીની જવાબદારી નિભાવનારા રાજ્યગુરુના આ નિર્ણયને રાજકીય વર્તુળોમાં “હીટવેવ” સમાન ગણાવવામાં આવી રહ્યો છે. રાજ્યગુરુ છેલ્લા સાડા ત્રણ દાયકાથી જાહેર જીવનમાં સક્રિય રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, 1991થી રાજકારણ અને સમાજસેવામાં જોડાયેલો રહ્યો છું અને હવે 36 વર્ષ બાદ વ્યક્તિગત જીવન જીવવાનો સમય આવ્યો છે. તેઓએ સ્પષ્ટ કર્યું કે, હવે કોઈ રાજકીય સભા, સરઘસ કે સામાજિક કાર્યક્રમમાં હાજરી નહીં આપે. કોર્પોરેશન સહિત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક હોય ત્યારે લેવાયેલો આ નિર્ણય અનેક અટકળોને જન્મ આપી રહ્યો છે. તાજેતરમાં કોંગ્રેસ હાઈકમાન્ડે ચૂંટણી તૈયારી માટે વિવિધ સમિતિઓની રચના કરી હતી, પરંતુ તેમાં રાજ્યગુરુ અથવા તેમના સમર્થકોને સ્થાન ન મળ્યું હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. “હવે જીવનના શોખ પૂરાં કરવાની ઈચ્છા”રાજ્યગુરુએ જણાવ્યું હતું કે, 60 વર્ષની ઉંમરે હવે વ્યક્તિગત જીવનનો આનંદ લેવા ઈચ્છા છે. મને કૂકિંગનો શોખ છે તે પૂરો કરીશ. તેમજ દરરોજ પ્રાણાયમ કરીશ. હિમાલય સહિત કુદરતી સ્થળોએ ફરવાનો તેમને ખાસ શોખ છે. છેલ્લા બે મહિનાથી તેઓ કોઈ સામાજિક કે રાજકીય કાર્યક્રમમાં હાજર રહ્યા નથી અને હવે સંપૂર્ણ વિરામ લેવાનો નિર્ણય કર્યો છે.
આજે વિશ્વ મહિલા દિવસ:આજની મહિલા... પુરુષ સમોવડી નહીં, તેનાથી શ્રેષ્ઠ બની રહી છે
દેવી મહાત્મયમ કે જેને દુર્ગા સપ્તશતી અથવા ચંડીપાઠ પણ કહેવામાં આવે છે. તેના બીજા અધ્યાયમાં આદ્યશક્તિ મા દુર્ગાનું વર્ણન છે. ઉપરોક્ત શ્લોક સાથે મહિલાના તેજ સાથે સરખાવીએ તો અત્યારે નહિ પહેલાથી મહિલાઓ પુરુષો કરતા શ્રેષ્ઠ હતી પણ હવે બદલતા કાર્યક્ષેત્ર અને જમાનામાં મહિલાઓ પોતાની ફરજ ઉપરાંત એવા ક્ષેત્રોમાં આગળ વધી રહી છે જ્યાં પુરુષો છે અને તેનાથી વધુ ચડિયાતી સાબિત થઈ રહી છે. જેમને સશક્તિકરણ નહિ મજબૂત મનોબળની જ જરૂર હતી. મહિલા દિવસે એ પૈકીની રાજકોટની સફળ અને સંઘર્ષ કરતી મહિલાઓના આ છે સબળ અને શ્રેષ્ઠ ઉદાહરણ. શક્તિના પ્રતીકને કદી સશક્તિકરણની જરૂર જ પડી નથી, જરૂર હતી મનોબળની, રાજકોટની આ મહિલાઓ તેની છે સાબિતી ફ્લાઈટ ઇન્સ્ટ્રક્ટરથી શરૂ થયેલી નિધિની સફર વિદેશી ઉડાનો સુધી પહોંચી છે. હાલ રાજકોટની સૌ પ્રથમ ઇન્ટરનેશનલ મહિલા પાઇલટ તરીકે અત્યાર સુધીની ઉડાનનો 7000થી વધુ કલાકોનો અનુભવ છે. પુણેથી હૈદરાબાદ સુધી ભારતની પ્રથમ વેક્સિન ફ્લાઇટનું સંચાલનની કામગીરી નિભાવી હતી. મેં ખુબ સંઘર્ષ કરીને માતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું. શ્રમિકોના 62 બાળકોને ભણાવવા માટે યોગદાન આપનારા મિનલબા ગોહિલને ગૌરવ પુરસ્કાર એનાયત કરાયો છે. હાલ થોરાળા, પાંજરાપોળ જેવા વિસ્તારમાં બાળકોને ભણાવે છે, જે વૃદ્ધોને સંતાન ન હોય તેમના ઘરે અનાજ પહોંચાડવું, પીડિત મહિલાઓ કે દીકરીઓનું નિ:શુલ્ક માર્ગદર્શન આપે છે. ઉપરાંત અનેક સેવાકાર્યો કરે છે. તૃપ્તિ જાની છેલ્લા 20 વર્ષથી બ્યુટી અને શિક્ષણ ક્ષેત્રમાં કાર્યરત છે. આ સમયગાળા દરમિયાન હજારો વિદ્યાર્થીઓને તાલીમ આપવાનો અને માર્ગદર્શન આપવાનો મોકો મળ્યો છે. આ સફરે મને શીખવ્યું છે કે જ્યારે સ્ત્રીને યોગ્ય તક, હુન્નર અને આત્મવિશ્વાસ મળે છે, ત્યારે તે અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે. આજે મારો સંદેશ છે કે દરેક સ્ત્રી પોતાની શક્તિને ઓળખે. રાજયોગિની બ્રહ્માકુમારી ભારતીદીદીએ 12 વર્ષની ઉંમરે બ્રહ્માકુમારી સંસ્થામાં જીવન સમર્પિત કરી દીધું હતું. વર્તમાન ગુજરાત ઝોન ડાયરેક્ટર તરીકે સેવામાં ઉપસ્થિત છે. તેઓના માર્ગદર્શન હેઠળ અનેક વિકાસના કાર્યોમાં 10,000થી વધુ મહિલાઓને સાક્ષર બની, સીલાઇ મશીન વિતરણ, સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ સહિત સમાવેશ થાય છે.
SIR ઇફેક્ટ:રાજકોટમાં મતદારો ઘટશે અને મતદાન મથકો વધશે
રાજ્ય ચૂંટણી આયોગે સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી યોજવા તડામાર તૈયારીઓ શરૂ કરાવી મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોને SIR બાદ તૈયાર થયેલી મતદાર યાદીના આધારે પોતાની મતદાર યાદી તૈયાર કરવા સૂચના આપી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાનું ચૂંટણી તંત્ર બરાબરનું ધંધે લાગ્યું છે. વર્ષ 2021ની ચૂંટણીમાં રાજકોટ શહેરના 18 વોર્ડમાં 10,93,991 મતદાર નોંધાયેલ હતા જેની સામે SIR બાદ શહેરની ત્રણ વિધાનસભા બેઠકમાં જ 1.73 લાખથી વધુ મતદાર ઘટી ગયા હોવાની સાથે વાંકાનેર અને રાજકોટ ગ્રામ્યમાં પણ મતદારો ઘટ્યા હોવાથી કોર્પોરેશનની ચૂંટણીમાં SIR ઇફેક્ટ હેઠળ મતદારો ઘટવાની શક્યતા જોવાઈ રહી છે. મનપાની મતદાર યાદી તૈયાર કરવામાં હાલ તમામ તાકાત કામે લગાવવા છતાં 11મી પહેલાં મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ માટે તંત્રને 24 કલાક કામ કરવું પડે તેવી સ્થિતિ હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. વર્ષ 2021ની રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 5,67,001 પુરુષ, 5,26,970 મહિલા, 20 થર્ડ જેન્ડર સહિત કુલ 10,93,991 મતદાર નોંધાયેલ હતા. જે અંતર્ગત 18 વોર્ડની ચૂંટણીમાં દરેક મતદાન મથકમાં 1104 મતદારનો સરેરાશ સમાવેશ કરવામાં આવતા કુલ 991 મતદાન મથક પર મતદાન પ્રક્રિયા યોજવામાં આવી હતી. બીજીતરફ ચૂંટણી પંચે SIR પ્રક્રિયા હાથ ધરાતા જિલ્લાની કુલ આઠ વિધાનસભા બેઠકમાં નોંધાયેલ કુલ 23,91,027 મતદાર પૈકી 2,95,211 મતદારનો ઘટાડો થતા હવે જિલ્લામાં મતદારોની સંખ્યા ઘટીને 20,95,816 થઈ છે. તે જોતા રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવતી 68-રાજકોટ પૂર્વ, 69-રાજકોટ પશ્ચિમ અને 70 રાજકોટ દક્ષિણ બેઠકમાં જ 1,73,815 મતદાર ઘટી ગયા છે. આ ઉપરાંત શહેર વિસ્તારમાં 67 -વાંકાનેર બેઠક તેમજ 71 રાજકોટ ગ્રામ્ય બેઠકનો હિસ્સો પણ સમાવિષ્ટ થયેલ હોય આ બન્ને બેઠકમાં પણ મતદારો ઘટ્યા છે. હાલમાં કોર્પોરેશનનું ચૂંટણી તંત્ર મતદાર યાદીની ડેટા એન્ટ્રીમાં ધંધે લાગ્યું છે. જોકે, 11મી માર્ચ સુધીમાં ડેટા એન્ટ્રી કરી મતદાર યાદી તૈયાર કરવામાં તંત્રને ધોળે દિવસે તારા દેખાઈ રહ્યા છે. જો કે કેન્સલ થયેલા નામો સંદર્ભે હજુ હજારોની સંખ્યામાં લોકોએ ફોર્મ ભરીને મતદાર યાદીમાં પોતાના નામ નોંધાવવા માટે કવાયત કરી છે. ત્યારે ચૂંટણી સુધીમાં રદ નામોનો આંકડો થોડો ઘટે તેવી પણ સંભાવના છે. જિલ્લા પંચાયતમાં મતદાન મથકો 1200 આસપાસ રહેશેરાજકોટ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી શાખાના સૂત્રોના મતે જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 1200 જેટલા મતદાન મથક રહેવાની ધારણા છે, ગત જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં 1079 જેટલા મતદાન મથક પર મતદાન થયું હતું જેથી આ વખતે 12ઓ જેટલા મતદાન મથક વધવાની શક્યતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. મુખ્ય વિધાનસભા બેઠક દીઠ મતદારોની સ્થિતિ
વિશ્વ મહિલા દિવસે રાજકોટના અલગ-અલગ ક્ષેત્રમાં નામનાં મેળવનાર અગ્રણી મહિલાઓને દિવ્ય ભાસ્કરે સવાલ કર્યો હતો કે, તમને જો એક દિવસ માટે શહેરના ટોંચના અધિકારી બનાવવામાં આવે તો તમે શું કાર્યવાહી કરો ? ત્યારે અગ્રણી મહિલાઓએ આક્રમક વિચારો વ્યક્ત કર્યા હતા અને કહ્યું હતું કે, જો અમે કલેક્ટર, કમિશનર કે સરકારી અધિકારી હોય તો શહેરને વિકસતું, ધબકતું અને ગુંડામુક્ત કરી દઇએ. 8 મહિલા અગ્રણીને દિવ્ય ભાસ્કરે સવાલ કર્યો કે, ‘તમને માત્ર એક દિવસની સરકારી સત્તા મળે તો તમે શું કરો ?’ અને આ રહ્યા તેના જવાબ: પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ મળે એટલે મહિલા નિર્ભયતા અનુભવે તે સુનિશ્ચિત કરવા તાત્કાલિક ઠરાવ કરી એક પિન્ક સ્ક્વોડની રચના કરું. પાંચ મુદ્દાઓ પર ખાસ ફોકસ પણ કરું. જેમાં દરેક સંવેદનશીલ પોઇન્ટ પર મહિલા પોલીસથી સજ્જ પીસીઆર વેન 24 કલાક તૈનાત રાખવાનો પણ નિર્ણય કરું. મહિલાઓની સોશિયલ મીડિયા પર થતી પજવણી રોકવા સાયબર મહિલા સેલ બનાવવામાં આવશે જે 24 કલાક એક્ટિવ રાખી શહેરને ગુંડામુક્ત કરી દઉ. સૌ પ્રથમ, હું મૂડીરોકાણ અને સબસિડીની જટિલ પ્રક્રિયાનું સંપૂર્ણ ડિજિટલાઈઝેશન કરીશ. ટેક્નોલોજી અપગ્રેડેશન અને પ્લાસ્ટિક રિસાઇક્લિંગ જેવા પર્યાવરણલક્ષી ઉદ્યોગો માટે ‘ઇન્સ્ટન્ટ કેપિટલ સબસિડી’ની જોગવાઈ કરી નાના ઉદ્યોગકારોને વ્યાજ સહાય સીધી બેંકમાં મળે તેવી પારદર્શક વ્યવસ્થા ઊભી કરીશ. જે ઉદ્યોગોનું સંચાલન મહિલાઓ કરતી હોય તેમને વીજળી દરમાં 20% રાહત અને જી.એસ.ટી. રિફંડમાં અગ્રતા આપવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર તરીકે જો ચાર્જ મળે એટલે સૌથી પહેલા એક નાગરિક સમિતિનું ગઠન કરી તેમાં પ્રબુદ્ધ નાગરિકોનો સમાવેશ કરીશ. કોઇપણ મહત્ત્વનો નિર્ણય હોય તો તેની ચર્ચા કરીને મતદાન થકી આગળ વધાશે. સમિતિના સૂચનો મેળવીને શહેરને કેમ સ્વચ્છ, સુંદર અને રહેવાલાયક બનાવવું તેનું આયોજન કરાશે. દરેક વોર્ડમાં એક નાની સ્પોર્ટ્સ એક્ટિવિટી અને સાંસ્કૃતિક કાર્યક્રમો થઈ શકે તેવા સંકુલની વ્યવસ્થા કરવી. એકલાવાયું જીવન ગુજારતા લોકોને ઘરે પ્રાથમિક સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા ઊભી કરું. આરોગ્ય કેન્દ્રમાં યુવક-યુવતીઓના કાઉન્સેલિંગ માટે નિમણૂક આપવી જેથી કિશોરાવસ્થાની મૂંઝવણો અને શારીરિક-માનસિક પરિવર્તનો અંગે માર્ગદર્શન મળી રહે. મહિલાઓને આરોગ્ય કેન્દ્રમાં વિનામૂ્લ્યે તપાસ, સારવાર, નિદાન આપવાથી સ્વસ્થ સમાજનું નિર્માણ કરું. ‘એક ગામ, એક મેદાન’ અભિયાન હેઠળ પડતર સરકારી જમીનનો મેદાન તરીકે ઉપયોગ કરી સ્પોર્ટ્સને આગળ વધારીશ. બિનઉપયોગી કે ઓછી ઉપયોગી સરકારી જમીનને બહુહેતુક પ્લે-ફિલ્ડમાં ફેરવી બાળક સુધી પાયાની સુવિધાઓ પહોંચાડીશ. સ્પોર્ટ્સ ઓથોરિટીના સહયોગથી ગામડાંમાં રમતગમતને વણી લઈશ અને સ્થાનિક યુવાનોને જ પી.ટી. ઇન્સ્ટ્રક્ટર તરીકે તૈયાર કરી રોજગારી અને માર્ગદર્શન પૂરું પાડીશ. PGVCLને માત્ર એક વીજ વિતરણ કંપની તરીકે જ નહીં, પણ એક સુરક્ષિત, ગ્રાહકલક્ષી અને ગ્રીન એનર્જીમાં અગ્રેસર સંસ્થા તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કરીશ. કર્મચારીઓ માટે અદ્યતન ‘સેફ્ટી કિટ’ ફરજિયાત કરીશ તેના વિના કામ નહીં કરવા દઈએ. નિયમિત મેન્ટેનન્સ દ્વારા જીવલેણ અકસ્માતો શૂન્ય કરવા પર ભાર મૂકીશ. આજનું શિક્ષણ વધુ મોંઘું થતું જાય છે તેમાં બદલાવ કરીશ. સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી તુરંત કરીશ અને કોલેજમાં સેમેસ્ટર પદ્ધતિને બદલે ફરીથી વાર્ષિક પદ્ધતિ પ્રમાણે શિક્ષણ અપાવીશ. ધોરણ 12 સાયન્સમાં એ અને બી ગ્રૂપને બદલે કોમન ગ્રૂપ કરીશ. ભણવાની અને સંસ્કાર મેળવવાની જવાબદારી માતા-પિતા સાથે શાળાની પણ સુનિશ્ચિત કરીશ. કલેક્ટરશ્રી એ જિલ્લાના રાજા ગણાય અને બંધારણ દ્વારા તેમને વિશાળ સત્તા મળેલી છે. નાગરિકોની સુખાકારી માટે તમામ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક કરી આધુનિક ટેક્નોલોજીના સદુપયોગ સાથે કાયદાના પાલનનો આદેશ આપીશ. જ્યાં વધારે જરૂર જણાય ત્યાં કડક હાથે કાર્યવાહી કરાવીશ.
રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં થોડા સમય પહેલાં હાથ ધરાયેલા મેગા ડિમોલિશન બાદ હવે એક ચોંકાવતો ખુલાસો સામે આવ્યો છે. ગેરકાયદે બાંધકામો તોડી પાડ્યા બાદ કાટમાળ ખસેડવાની કામગીરી દરમિયાન અનેક મકાનોમાંથી પાણીના વાલ્વ ખોલવાની ડુપ્લિકેટ ચાવીઓ મળી આવતા મહાનગરપાલિકાના અધિકારીઓ પણ આશ્ચર્યચકિત બની ગયા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ વિસ્તારમાં અંદાજે 150 જેટલા મકાનધારકોએ મહાનગરપાલિકાની પાણીની પાઇપલાઇનમાંથી જરૂરિયાત મુજબ પાણી મેળવવા માટે વાલ્વ ખોલવાની ડુપ્લિકેટ ચાવીઓ બનાવી લીધી હતી. રાજકોટના સૌથી વધુ ચર્ચિત અને પંકાયેલા વિસ્તારોમાં ગણાતા જંગલેશ્વરમાં વર્ષોથી ગેરકાયદે પ્રવૃત્તિઓનું નેટવર્ક ચાલતું હોવાની ચર્ચા હતી. આ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો તેમજ અન્ય પ્રવૃત્તિઓને કારણે કાયદો અને વ્યવસ્થાને પડકાર ઊભો થતો હતો. આવી સ્થિતિમાં શહેર પોલીસ અને મહાનગરપાલિકાએ સંયુક્ત આયોજન કરીને મોટા પાયે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ કમિશનર બ્રજેશ ઝા અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ લગભગ ત્રણથી ચાર મહિનાની તૈયારી બાદ એક પખવાડિયા અગાઉ મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું. આ કાર્યવાહી દરમિયાન કુલ 1489 જેટલા ગેરકાયદે મકાનો કોઈ મોટી માથાકૂટ વગર ધરાશાયી કરવામાં આવ્યા હતા. હાલમાં આ વિસ્તારમાં તોડફોડ કરાયેલા મકાનોનો કાટમાળ ખસેડવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન મકાનોના અવશેષોમાંથી પાણીના વાલ્વ ખોલવા માટે ઉપયોગમાં લેવાતી ડુપ્લિકેટ ચાવીઓ મળી આવતા અધિકારીઓ ચોંકી ગયા હતા. મહાનગરપાલિકાના સૂત્રો મુજબ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ વિસ્તારમાં પાણીની ચોરી વર્ષોથી સંગઠિત રીતે ચાલી રહી હતી. રાજકોટ મહાનગરપાલિકા શહેરના 18 વોર્ડમાં પાણી વિતરણ માટે ચોક્કસ સમયપત્રક અનુસાર વ્યવસ્થા ચલાવે છે. દરેક વિસ્તારમાં પાણીના વાલ્વ ખોલવા અને બંધ કરવા માટે વાલ્વમેનની નિમણૂક કરવામાં આવે છે. સામાન્ય રીતે દર વિસ્તારમાં લગભગ 20 મિનિટ માટે પાણીનું વિતરણ કરવામાં આવે છે, પરંતુ જંગલેશ્વર વિસ્તારમાં કેટલાક માથાભારે તત્ત્વોએ પાણીના વાલ્વની ડુપ્લિકેટ ચાવીઓ બનાવી લીધી હતી અને જ્યારે જરૂર પડે ત્યારે વાલ્વ ખોલીને પાઇપલાઇનમાંથી સીધું પાણી મેળવી લેતા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ ખાસ કરીને કોઈ ધાર્મિક પ્રસંગ, સામાજિક કાર્યક્રમ કે પરિવારના લગ્ન-પ્રસંગ જેવા સમયે પાણીની વધારે જરૂરિયાત રહેતી ત્યારે આ ડુપ્લિકેટ ચાવીઓનો ઉપયોગ કરીને પાણી ઉપાડવામાં આવતું હતું. આ સમગ્ર ગેરકાયદે વ્યવસ્થા ઘણા વર્ષોથી ચાલતી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ડિમોલિશન દરમિયાન કેટલાક મકાનોમાંથી વીજપુરવઠા માટે ગેરકાયદે જોડાણ એટલે કે “લંગરિયા” પણ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેના આધારે આ વિસ્તારમાં વીજચોરી પણ મોટા પાયે થતી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અત્રે નોંધનીય છે કે, મહાનગરપાલિકાએ અગાઉ શહેરમાં પાણી માટે મીટર આધારિત વિતરણ પ્રથા અમલમાં મૂકવાની જાહેરાત કરી હતી, પરંતુ જંગલેશ્વર વિસ્તારમાં વિવિધ કારણોસર આ પ્રથા અમલમાં આવી શકી ન હતી. જેના કારણે વર્ષોથી પાણીના ગેરકાયદે ઉપયોગની શક્યતાઓ વધતી રહી હતી. દર વર્ષે કરોડો રૂપિયાની પાણીચોરી થતી હોવાની આશંકામનપાના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ જંગલેશ્વર વિસ્તારમાં ડુપ્લિકેટ ચાવીની મદદથી વર્ષોથી પાણીની ચોરી થતી હતી. આ ચોરીના કારણે દર વર્ષે કરોડો રૂપિયાના પાણીનું નુકસાન થતું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આ નુકસાનનો ચોક્કસ આંકડો હાલમાં નક્કી કરવો મુશ્કેલ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે, કારણ કે વર્ષોથી આ ગેરકાયદે પ્રવૃત્તિ ગુપ્ત રીતે ચાલતી હતી.
સિટી એન્કર:રાજકોટ મનપાની ટેક્સની ગાડી ધીમી, 455ના ટાર્ગેટ સામે 389 કરોડ જ વસૂલી શકાયા
મહાનગરપાલિકાએ 31 માર્ચ સુધી રૂ.5 હજારની મર્યાદામાં વ્યાજમાફીની યોજના જાહેર કર્યા છતાં મિલકતવેરાની વસૂલાતની ગાડી હજુ ધીમી ગતિએ આગળ વધી રહી છે. ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માટે ટેક્સ વિભાગે રૂ.455 કરોડનો લક્ષ્યાંક નક્કી કર્યો છે, પરંતુ તા.7 માર્ચ સુધીમાં કુલ રૂ.389.29 કરોડની જ વસૂલાત થઈ છે. પરિણામે હવે વર્ષ પૂર્ણ થવામાં બાકી રહેલા લગભગ 23 દિવસમાં મનપાને રૂ.66 કરોડ જેટલો વેરો ઉઘરાવવાનો મોટો પડકાર ઊભો થયો છે. મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખા દ્વારા નોન-રેસિડન્સ, રેસિડન્સ, કોમર્સિયલ તેમજ સરકારી મિલકતોના બાકી મિલકતવેરા માટે ઝુંબેશ હાથ ધરાઈ છે. બાકીદારોને વેરા બિલ મોકલી ચૂકવણી કરવા સૂચના આપવામાં આવી રહી છે.મનપાએ ચાલુ વર્ષે વ્યાજમાફીની સ્કીમ જાહેર કરી છે. તેમાં બાકી મિલકતવેરાની સંપૂર્ણ ભરપાઈ કરનારને મિલકતવેરાના વ્યાજ પર રૂ.5,000 તથા પાણીવેરાના વ્યાજ પર રૂ.5,000 એમ કુલ રૂ.10,000 સુધીની રાહત મળે છે. આ યોજના 31 માર્ચ સુધી અમલમાં રહેશે. ટેક્સ વિભાગના આંકડા મુજબ સરકારી કચેરીઓ દ્વારા સવા મહિનામાં કુલ રૂ.2.64 કરોડની ચૂકવણી કરવામાં આવી છે. તેમાં ફેબ્રુઆરી માસ દરમિયાન ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજે રૂ.58.61 લાખ, પીજીવીસીએલે રૂ.45.37 લાખ, સ્પોર્ટ્સ વિભાગે રૂ.30.95 લાખ, જૂની કોર્ટ દ્વારા રૂ.17.36 લાખ, યાંત્રિક ભવન દ્વારા રૂ.11 લાખ, નાયબ નિયામક કચેરી દ્વારા રૂ.14.18 લાખ, મામલતદાર કચેરી (દક્ષિણ) દ્વારા રૂ.6.43 લાખ, પી.ડબલ્યુ.ડી. દ્વારા રૂ.65.47 લાખ અને ઇન્કમટેક્સ વિભાગે રૂ.27.82 હજાર ભરપાઈ કરી હતી. આમ કુલ રૂ.2.49 કરોડ વસૂલાયા હતા. ચાલુ માર્ચ માસમાં સિવિલ હોસ્પિટલ દ્વારા રૂ.74.65 લાખ, જી.એમ.એસ.સી.એલ. દ્વારા રૂ.4.85 લાખ, પોસ્ટલ ડેપો દ્વારા રૂ.17.22 લાખ અને સેન્ટ્રલ જી.એસ.ટી. કચેરી દ્વારા રૂ.17.65 લાખ ચૂકવાતા કુલ રૂ.1.14 કરોડની આવક નોંધાઈ છે. પરંતુ બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રેલવે, સમરસ હોસ્ટેલ અને પાણી પુરવઠા બોર્ડ સહિતના વિભાગોના લગભગ રૂ.100 કરોડ જેટલા લેણા હજી બાકી છે. જુદા જુદા હિસાબી વિવાદો અને કાયદાકીય કારણોસર વર્ષોથી આ લેણાં ઉઘરાતા નથી. ટેક્સ વિભાગના સૂત્રો અનુસાર માર્ચ એન્ડમાં સરકારી વિભાગો દ્વારા મોટી ચૂકવણી થતી હોવાની આશા છે.
નમસ્તે, આજના મોટા સમાચારો જોઈએ તો, ઈરાને મીડલ ઈસ્ટના પાડોશી દેશોને ધરપત આપી છે કે તે તેના પર હુમલા નહીં કરે. અત્યાર સુધીમાં જે હુમલા થયા તેની માફી પણ માગી છે. બીજી તરફ યુદ્ધના કારણે પાકિસ્તાનમાં પેટ્રોલ ડિઝલના ભાવ અને ભારતમાં ગેસના ભાવમાં વધારો થયો છે. UPSC રિઝલ્ટ પછી નવો વિવાદ શરૂ થયો છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. અમદાવાદમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-20 વર્લ્ડ કપ ફાઈનલ મેચ 2. AAP નેતા અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં, ગાંધીનગરમાં જનસભા 3. પીએમ મોદી દિલ્હીમાં 33,500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે કાલના મોટા સમાચારો 1. ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે, હોર્મુઝ રૂટ બંધ થતાં સરકારે નવા રસ્તાઓથી ક્રૂડ ઓઇલની સપ્લાય 10% વધારી મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમત વધવાની ચિંતા ટળી ગઈ છે. કારણ કે, હોર્મુઝ રૂટ બંધ થયા પછી સરકારે કુલ આયાતના 10% ક્રૂડ ઓઇલ નવા રૂટથી મંગાવવાનું શરૂ કરી દીધું છે. સરકારે આ નિર્ણય સપ્લાય હોર્મુઝ રૂટ પ્રભાવિત થવાને કારણે લીધો છે. સૂત્રો અનુસાર, સરકારનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઉતાર-ચઢાવ છતાં ભારત પાસે તેલનો પર્યાપ્ત ભંડાર છે અને સ્થિતિ નિયંત્રણમાં છે. જોકે, હોર્મુઝ રૂટ બંધ થવાને કારણે છેલ્લા 8 દિવસમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ 27% સુધી વધી ગયા છે. સરકારી સૂત્રોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે નહીં. આજે અમે દેશને ફરીથી ખાતરી આપીએ છીએ કે કિંમતોમાં કોઈ વધારો થશે નહીં. વાંચો સંપૂર્ણ સમાચાર 2. બંગાળમાં કોન્ફરન્સનું સ્થળ બદલવા પર રાષ્ટ્રપતિ નારાજ:તેમણે કહ્યું- રાજ્ય સરકાર આદિવાસીઓનું ભલું નથી ઈચ્છતી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંગાળમાં કાર્યક્રમનું સ્થળ બદલવા બદલ શનિવારે નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું- મને લાગે છે કે બંગાળ સરકાર આદિવાસીઓનું ભલું નથી ઈચ્છતી. મમતા બેનર્જી મારી નાની બહેન જેવી છે. હું પણ બંગાળની દીકરી છું. રાષ્ટ્રપતિએ કહ્યું... નોર્થ બંગાળના પ્રવાસે ન તો મુખ્યમંત્રી કે ન તો કોઈ રાજ્ય મંત્રી તેમને રિસીવ કરવા આવ્યા. મને ખબર નથી કે મમતા મારાથી નારાજ છે કે નહીં. જોકે, તેનાથી કોઈ ફરક પડતો નથી. તમે બધા સ્વસ્થ રહો. તેમણે કાર્યક્રમનું સ્થળ બદલવા બદલ કહ્યું કે જો કાર્યક્રમ બિધાનનગરમાં હોત તો સારું થાત. ત્યાં ઘણી જગ્યા છે અને ઘણા લોકો આવી શક્યા હોત. પરંતુ મને ખબર નથી કે રાજ્ય પ્રશાસને ત્યાં મીટિંગની પરવાનગી કેમ ન આપી. આ અંગે પીએમ મોદીએ કહ્યું કે આ શરમજનક છે, આવું પહેલા ક્યારેય બન્યું નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ઈરાને પાડોશી દેશો પાસે માફી માગી, ટ્રમ્પ બોલ્યા- ઈરાન પાડોશી પાસે ઝૂક્યું; ઈરાનનો અમેરિકાની THAAD ડિફેન્સ સિસ્ટમ પર હુમલો:₹22,000 કરોડની જોર્ડનવાળી સિસ્ટમ નષ્ટ આજે અમેરિકા-ઇઝરાયલ-ઇરાન યુદ્ધનો આઠમો દિવસ છે. ઈરાને છેલ્લા અઠવાડિયામાં સાઉદી અરેબિયા, UAE અને જોર્ડનમાં તહેનાત યુએસ ટર્મિનલ હાઇ અલ્ટીટ્યુડ એરિયા ડિફેન્સ (THAAD) સિસ્ટમને નિશાન બનાવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જોર્ડનના મુવફ્ફાક સાલ્ટી એર બેઝ પર THAAD રડાર સિસ્ટમ હુમલામાં નષ્ટ થઈ છે. આ રડાર THAAD સિસ્ટમનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને દુશ્મન બેલિસ્ટિક મિસાઇલોને શોધવા અને ટ્રેક કરી શકે છે. અમેરિકા પાસે ફક્ત 7-8 THAAD સિસ્ટમ છે, તેથી આ એક મોટું લશ્કરી નુકસાન માનવામાં આવે છે. એક THAAD સિસ્ટમની કિંમત ₹22,000 કરોડ સુધીની હોય છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. UPSC રિઝલ્ટમાં મોટો વિવાદ:301 રેન્ક પર બે ‘આકાંક્ષા’નો દાવો; બંનેના એક જ રોલ નંબર, એક યુપી તો બીજી બિહારની; QR સ્કેન કરતા નીકળી ગડબડ UPSC સિવિલ સર્વિસ પરીક્ષાના પરિણામ 2025માં એક જ રેન્ક પર બે ઉમેદવારોએ દાવો કર્યો છે. UPSC દ્વારા જાહેર કરાયેલી મેરિટ લિસ્ટમાં AIR 301 પર આકાંક્ષા સિંહ છે, જેમનો રોલ નંબર 0856794 છે. આ પસંદગી પર બિહાર અને યુપીમાંથી 2 અલગ-અલગ વિદ્યાર્થિનીઓએ દાવો કર્યો છે. આ બંને ઉમેદવારોનું નામ આકાંક્ષા સિંહ છે. ભાસ્કરે આ મામલાની તપાસ માટે બંને ઉમેદવારોના એડમિટ કાર્ડ તપાસ્યા. યુપીના ગાઝીપુરની આકાંક્ષાના ઇન્ટરવ્યુ કોલ લેટર પર નોંધાયેલ રોલ નંબર 0856794 છે. આ એડમિટ કાર્ડ પર દેખાતા QRને સ્કેન કરવા પર પણ આ જ રોલ નંબર દેખાય છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. બાદશાહના 'ટટીરી' ગીત વિરુદ્ધ FIR:વિદ્યાર્થિનીઓને સ્કૂલ બેગ ફેંકતી બતાવી, અશ્લીલ શબ્દોનો ઉપયોગ કર્યો, મહિલા આયોગે સમન્સ પાઠવ્યું બોલિવૂડ રેપર-સિંગર બાદશાહના નવા હરિયાણવી ફોક સોંગ 'ટટીરી'ને લઈને હરિયાણાના પંચકુલાના સાયબર ક્રાઈમ અને જીંદના સિવિલ લાઈન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. જોકે, હજુ સુધી અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધાયો છે. રેપની લાઇન ‘આયા બાદશાહ ડોલી ચઢાને…’, છોકરીઓને સ્કૂલના યુનિફોર્મમાં બેગ ફેંકવા અને જીંદ ડેપોની હરિયાણા રોડવેઝની બસનો પરવાનગી વગર ઉપયોગ કરવાના આરોપો છે. બીજી તરફ, પાણીપતની 'નારી તું નારાયણી' સંસ્થાના અધ્યક્ષ સવિતા આર્યા અને 'શિવ આરતી ફાઉન્ડેશન'ના પ્રમુખ શિવ કુમારની ફરિયાદ પર હરિયાણા રાજ્ય મહિલા આયોગે બાદશાહને સમન્સ જારી કર્યું છે. જેમાં બાદશાહને પોતાનો પક્ષ રજૂ કરવા માટે 13 માર્ચે આયોગ સમક્ષ હાજર થવા જણાવ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી:અફવાએ મચાવી દોડધામ, જૂનાગઢમાં 1 કિમી સુધી વાહનોના થપ્પા; ખેડૂતો મોટા બેરલ લઈને ખરીદવા પહોંચ્યા ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પેટ્રોલ પંપ પર કેટલાંક જિલ્લામાં લાંબી લાઈનો લાગી છે. જેમાં જૂનાગઢના કેશોદ તાલુકાના અજાબ ગામમાં આજે વહેલી સવારથી જ પેટ્રોલ પંપ પર લાંબી લાઈનોના દ્રશ્યો જોવા મળ્યા હતાં. સોશિયલ મીડિયા અને લોકમુખે વહેતી થયેલી 'ડીઝલની તંગી'ની અફવાને કારણે ખેડૂતો અને વાહનચાલકોમાં ભારે ગભરાટ ફેલાયો ને દોડધામ મચી હતી. જેના પરિણામે અજાબના પેટ્રોલ પંપ પર લગભગ એક કિલોમીટર જેટલી લાંબી વાહનોની કતારો લાગી હતી. જેમાં ખાસ કરીને ટ્રેક્ટર, રિક્ષા અને અન્ય ખેતીવાડીના વાહનોની સાથે ખેડૂતો મોટા બેરલ લઈને પેટ્રોલ - ડિઝલ ખરીદવા પહોંચ્યા હતાં. વાંચો સંપૂર્ણ સમાચાર 7. પનીર બનાવવા ઇન્ડસ્ટ્રીયલ એસિડનો ઉપયોગ થયાનો ઘટસ્ફોટ:1400 કિલો જથ્થો ઝેર નીકળ્યો, ફેક્ટરીનું લાયસન્સ મહારાષ્ટ્રનું અને કાળો કારોબાર સુરતમાં સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં SOG દ્વારા 3 માર્ચના રોજ પાડવામાં આવેલા દરોડામાં પનીરના નામે પીરસાઈ રહેલા ધીમા ઝેરનો પર્દાફાશ થયો હતો. હાલ SOGની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, આ ફેક્ટરીમાં પનીર બનાવવા જે એસિટિક એસિડનો ઉપયોગ થતો હતો, તે ખાદ્ય પદાર્થો માટેનું (Food Grade) નહીં, પરંતુ કારખાનાઓમાં વપરાતું 'ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ' એસિડ હતું. આ પનીર સુરતની અનેક ડેરીઓમાં સપ્લાય થતું હતું. આ ઉપરાંત SOGની તપાસમાં એ પણ ખુલ્યું છે કે, મુંબઈના એડ્રેસ પર FSSAI લાયસન્સ લઈ સુરતમાં ફેક્ટરી ચલાવવામાં આવતી હતી. SOGએ 1400 કિલો પનીરનો જથ્થો તો જપ્ત કર્યું પણ આ ઝેર અનેક લોકો આરોગી ગયા હશે તેના સ્વાસ્થ્યને લઈ ચિંતા ઉભી થઈ છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : UPના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ:2000 ફૂટની ઊંચાઈએ અચાનક ડિસ્પ્લે બંધ થયું, લખનઉ એરપોર્ટ પર ઉતારાયું વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : પેટ્રોલ 336 અને ડીઝલ 321 રૂપિયા પ્રતિ લિટર થયું:પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 55 રૂપિયાનો વધારો, અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધની અસર વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ઘરેલુ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો:ઈરાન યુદ્ધથી રાંધણ ગેસની અછતની શક્યતા; સરકારે LPG ઉત્પાદન વધારવાનો આદેશ આપ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : દાવો- ઈરાનનું એક યુદ્ધ જહાજ હાલ ભારતમાં:183 નૌસૈનિકો હાજર, ટેકનિકલ ખામી બાદ મદદ માગી, 4 માર્ચે કોચી પહોંચ્યું વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : 50 હજારનું ડિજિટલ ફ્રોડ થાય તો એક કોલથી રિફંડ:તરત ફરિયાદથી 85% રકમ પાછી મળશે; RBI બનાવી રહી છે નવી ગાઈડલાઈન વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : સેમસન પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બની શકે છે:ICCએ 8 ખેલાડીઓ સાથે શોર્ટલિસ્ટ કર્યા; ન્યૂઝીલેન્ડના 2 ખેલાડીઓ સામેલ વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : 'હું સમસ્યાઓમાં ઘેરાઈ ગયો છું, શું કરું?':દુઃખી શિષ્યને મુશ્કેલીઓમાંથી બહાર આવવા સંતે આપી અમૂલખ શીખામણ વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ બાળકના લીવર, આંતરડાં ખસીને છાતી તરફ આવી ગયા જયપુરમાં 11 વર્ષના છોકરાનું લીવર અને આંતરડા તેમની મૂળ સ્થિતિથી જમણી છાતી તરફ ખસી ગયા. તપાસમાં જાણવા મળ્યું કે બાળકને જન્મથી જ ડાયાફ્રેમેટિક હર્નીયા હતો. આ સ્થિતિ પેટ અને છાતીને અલગ કરતા પટલમાં જગ્યા બની જાય છે. જોકે, ડોકટરોએ સર્જરી કરી છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભારતને ગાળો આપનાર બાલેન PM બનવાની નજીક:લોકો બોલ્યા- ઈન્ડિયા સાથે સંબંધો સુધારો, પાર્ટીની સ્પષ્ટતા- રોટી-બેટીનો સંબંધ જળવાઈ રહેશે 2. ભાસ્કર એક્સપ્લેનર : નીતિશે 3 મહિનામાં જ સીએમની ખુરસી કેમ છોડી:ચૂંટણી પહેલાં ભાજપે લખી સ્ક્રીપ્ટ; ચિરાગને વધારે સીટ, નીતિશ માટે કેમ્પેન 3. પારકી પંચાત : નીતિન પટેલે રકાબીમાં ચાનો સબડકો લીધો:કાકા બોલ્યા, ‘કડી યાર્ડ જેવી ચા ગુજરાતમાં ક્યાંય ના થાય’; AMCના નેતાઓ અધિકારીઓ સામે મેચ હારી ગયા 4. મેડિકલ ઇમરજન્સીમાં AIની સલાહ જીવલેણ સાબિત થશે!:ગંભીર બીમારીના કેસમાં ChatGPTએ 52% ખોટી સલાહ આપી, જાણો નેચર મેડિસિનનો ચોંકાવનારો રિપોર્ટ 5. બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો દહીં ખાઓ!:રોગપ્રતિકારક શક્તિ વધારશે, મોટાપાથી રાહત મળશે, જાણો 12 સ્વાસ્થ્ય લાભો; કોને ન ખાવું જોઈએ? ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ: મેષ અને ધન રાશિના જાતકોને ધનવર્ષા થશે, વૃશ્ચિક રાશિને પૂર્વજોની મિલકતના પ્રશ્નો ઉકેલાશે વાંચો સંપૂર્ણ રાશિફળ
વાંકાનેરની એચ એન દોશી આર્ટસ એન્ડ આર.એન.દોશી કોમર્સ કોલેજના એન.એસ.એસ.યુનિટે 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસના અનુસંધાને આશીર્વાદ ફાઉન્ડેશન અમદાવાદ તથા દોશી કોલેજના સંયુક્ત ઉપક્રમે Walk For Her કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા 300 જેટલી કોલેજની વિદ્યાર્થીની બહેનો દ્વારા મહિલાઓને થતા બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ લાવવા માટે રેલીનું આયોજન એન.એસ.એસ યુનિટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ ડો. વાય.એમ.ચુડાસમા એન.એસ.એસ. ડ્રિસ્ટિક કો-ઓર્ડીનેટર ડૉ.મયુર જાની, ડૉ. ઉર્મિલા પટેલ, ડૉ.અર્ચના પરમાર. પ્રો.ધવલ દાવડા, હેતલ ખીમસુરીયા, આશીર્વાદ ફાઉન્ડેશન અમદાવાદના પ્રજ્ઞાબેન હાજર રહ્યા હતા. આ ઉપરાંત સેશન -2 માં કોલેજમાં થતી અન્ય પ્રવૃત્તિ ફિનિશિંગ સ્કૂલ ઇનોવેશન ક્લબ કોમ્પ્યુટર કોડિંગ ટીચિંગ એન્ડ ફેશન ડિઝાઇનીંગ ઇન્ડિયા ટ્રેડિશનલ ડે વગેરે તેમજ અન્ય શૈક્ષણિક અને વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમના ઉદઘાટક તરીકે મોરબી જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી જલ્પાબેન ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ઉમેશ સુજાન, રણધીર સોનારા, નમ્રતાબેન મહેતા તથા આશીર્વાદ ફાઉન્ડેશનના પ્રજ્ઞાબેન હાજર રહ્યા હતા.
મનપા એક્શન મોડમાં:મોરબીમાં વેરો ન ભરનારા 1275 આસામીને વોરંટ, 108 મિલકત સીલ
મોરબીમાં માર્ચ મહિનો પૂર્ણ થાય તે પૂર્વે મહાનગરપાલિકા દ્વારા વેરા ઉઘરાણી તેજ ગતિએ વધારી દીધી છે. મનપાએ રૂ. 10 હજાર કે તેથી વધુ વેરો બાકી હોય તેવા આસામીઓને વોરંટ ફટકારી વેરો ભરવા તાકીદ કરી છે લાંબા સમયથી વેરો ન ભરનાર 108 મિલકત સીલ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત 2 મકાનના નળ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં હજારો બાકીદારોને વોરંટ ફટકારવામાં આવ્યા છે અને અનેક મિલકતોને સીલ મારી દેવામાં આવ્યા છે. મોરબી મહાનગર પાલિકાની મિલકત વેરા શાખાએ અત્યાર સુધીમાં કુલ 1275 બાકીદારને વોરંટ ઇસ્યુ કર્યા છે. જેમાંથી 108 મિલકતોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ સીલ થયેલી મિલકતમાંથી 42 આસામીએ તુરંત વેરો ભરપાઈ કરતા તેમના સીલ ખોલી નાખ્યા છે, જ્યારે 64 મિલકતો હજુ પણ સીલ છે. રહેણાંક મિલકતોમાં જેનો વેરો બાકી છે તેવા 2 આસામીના નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. તંત્રએ મિલકતનો વેરો 10,000 થી વધુ બાકી હશે, તેમના નળ અને ડ્રેનેજ કનેક્શન કાપી નખાશે. આ કડક ઝુંબેશને કારણે શહેર વિસ્તારમાંથી રૂ. 27.37 કરોડ અને ગ્રામ્ય/ક્લસ્ટર વિસ્તારોમાંથી રૂ. 2.57 કરોડ મળી કુલ કરોડોની આવક પાલિકાની તિજોરીમાં જમા થઈ છે. મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે આ સીલિંગ અને વોરંટની પ્રક્રિયા 31 માર્ચ 2026 સુધી સતત ચાલુ રહેશે.જો નિયત સમય મર્યાદામાં વેરો ભરવામાં નહીં આવે તો બાકી રકમ પર 18% વ્યાજ વસુલાશે. ભાસ્કર નોલેજક્યાં અને કેવી રીતે વેરો ભરી શકાશે?નાગરિકોની સુવિધા માટે પાલિકાએ નીચે મુજબની વ્યવસ્થા કરી છે.
સન્ડે ફોટો સ્ટોરી:વાંકાનેરના ગંગાબહેન રોજ સવારે પ્રસૂતાઓને ચોખ્ખા ઘીનો શીરો ખવડાવવા પહોંચે
વાંકાનેરના મહિલાએ છેલ્લા 15 વર્ષથી સેવાનો નવો અધ્યાય શરૂ કર્યો છે અને પ્રસુતાઓ તેમજ ભાવિ પેઢીના સશક્તિકરણ માટે દરરોજ નિસ્વાર્થભાવે પુરુષાર્થ કરી રહી છે. વાંકાનેરના ભીમગુડા ગામના વતની અને વાંકાનેરમાં પરણીને સ્થાયી થયેલા ગંગાબેન કાનાભાઇ ગમારાનો જીવ નાનપણથી જ શ્રધ્ધાળુ અને પરોપકારવાદી ખરો. પરણીને સાસરે આવ્યા અને સંતાનોને ભણાવવા, ગણાવવાની જવાબદારીમાંથી પરવારીને તેમણે નક્કી કર્યું કે દરરોજ ચોખ્ખા ઘીમાંથી ઘઉંના લોટનો શીરો બનાવવો અને ગરમ ગરમ જ પ્રસુતાઅોને પહોંચાડવો. ઘરે જ લાકડાની મદદથી અગ્નિ પેટાવી ડ્રાયફ્રુટ સભર શીરો ગંગાબહેન બનાવે અને પતિ સાથે સિવિલ સહિતની ત્રણથી ચાર હોસ્પિટલે આપવા નીકળી પડે. એમાં એક પણ દિવસની ચૂક ન થાય અને જો સંજોગવશાત તેઓ ગામમાં હાજર ન હોય તો તેમના પતિ કે દીકરા વહુ આ જવાબદારી નિભાવે. મહિલા સશક્તિકરણની વાતો આજે અનેક થશે, આવું સેવાનું કામ મૂક ભાવે કરનારા ગંગાબહેન પણ મહિલા સશક્તિકરણની મિસાલ જ છે ને!
કલેક્ટરે શૈક્ષણિક કામગીરીની કરી ચકાસણી:બાલપુર પ્રાથમિક શાળામાં કલેક્ટરની અચાનક મુલાકાત
વ્યારા તાલુકાના બાલપુર ગામ સ્થિત પ્રાથમિક શાળાની તાપી જિલ્લા કલેક્ટર ડૉ. વીપીન ગર્ગ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટરે શાળામાં ચાલી રહેલી શૈક્ષણિક કામગીરીનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓના અભ્યાસ અને શિક્ષણની ગુણવત્તા અંગે માહિતી મેળવી હતી. કલેક્ટરે વિવિધ ધોરણના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી તેમને અભ્યાસ સંબંધિત પ્રશ્નો પૂછ્યા હતા. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક જવાબ આપતા તેમની તૈયારી અને અભ્યાસ પ્રત્યેની લગન સ્પષ્ટ જણાઈ આવી હતી. કેટલાક વિદ્યાર્થીઓએ પણ પોતાની શંકાઓ રજૂ કરતાં કલેક્ટરે સરળ ભાષામાં સમજ આપી તેમના પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું. આ ઉપરાંત કલેક્ટરે શિક્ષકો સાથે ચર્ચા કરી શિક્ષણની ગુણવત્તા વધુ મજબૂત બને તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે માટે શિક્ષકોનું સમર્પિત યોગદાન મહત્વપૂર્ણ હોવાનું તેમણે જણાવ્યું હતું.
આરોગ્ય સુવિધાઓ વધુ સુદ્રઢ બનશે:કડોદરામાં 1.30 કરોડના ખર્ચે અર્બન હેલ્થ સેન્ટરનું ખાતમુહૂર્ત
કડોદરા નગરપાલિકા વિસ્તારમાં આરોગ્ય સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી 15માં નાણાપંચની યોજના અંતર્ગત અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર (UPHC)ના નવા મકાનનો ખાતમુહૂર્ત કાર્યક્રમ શાસ્ત્રોક્ત વિધિ સાથે સંપન્ન થયો હતો. આ પ્રોજેક્ટ સુરત જિલ્લા પંચાયતને પ્રાપ્ત થયેલ અંદાજિત રૂપિયા 1.30 કરોડ ના અનુદાનમાંથી સાકાર કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરભાઈ આર. પરમાર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવો દ્વારા ભૂમિ પૂજન અને ખાતમુહૂર્તની વિધિ વિધિવત રીતે કરવામાં આવી હતી. આ અવસરે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન એ. પટેલ, આરોગ્ય સમિતિના અધ્યક્ષ રોશનકુમાર એ. પટેલ તેમજ કડોદરા નગરપાલિકાના પ્રમુખ નારાયણી શર્મા તેમજ સુરત જિલ્લા ભાજપના મહામંત્રી અંકુરભાઇ દેસાઈ સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા. નવા બનનારા આ હેલ્થ સેન્ટરથી સ્થાનિક રહીશોને ઘર આંગણે આધુનિક અને સસ્તી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે, જે સમગ્ર વિસ્તાર માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
કરૂણાંતિકા:પહેલા માળે સૂતેલા 4 કારીગરે આગ ઓલવવા શટર ખોલ્યું, દાઝી જતાં 4 દિવસ પછી મોત થયું
માધુપુરા નમકીનના કારખાનામાં લાગેલી આગ બુઝાવવા ગયેલા ચાર કારીગર દાઝી જતાં ચાર દિવસની સારવાર બાદ મૃત્યુ પામ્યા હતા. કારીગરો પહેલા માળે સૂતા હતા ત્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી. અગનજ્વાળા જોતાં તેઓએ નીચે જઈને આગ બુઝાવવા શટર ખોલ્યું તો આગની ઝપેટમાં આવતા દાઝી ગયા હતા. આ મામલે માધવપુરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ આદરી છે. માધુપુરાના હનુમાનપુરા બસ સ્ટેન્ડ પાસેના મહેશ્વરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં 3 માર્ચે 3 વાગ્યાની આસપાસ નમકીન બનાવતા આવકાર ફૂડ્સના બે માળના કારખાનાના ગ્રાઉન્ડ ફ્લોર પર શોર્ટસર્કિટથી આગ લાગી હતી. પહેલા માળે પતરાંના શેડની ઓરડીમાં સૂતેલા મધ્યપ્રદેશ અને રાજસ્થાનના 4 કારીગરને આગની જાણ થતા અરવિંદ પરમાર(18), સુભાષ પરમાર (26), કુલદીપ રાજપૂત (18) અને કૈલાશ વણઝારા (34) ધૂમાડાથી ગૂંગળામણ થતા ઊઠી ગયા હતા. બાદમાં ચારેયે કારખાનાની બહાર આવી કારખાનામાં ફાયર એક્ટિંગ્યુશરના 2 સિલિન્ડર હોવાની જાણ હોવાથી આગ બુઝાવવા માટે તેઓએ શટર ખોલતાં જ આગની જ્વાળાઓ તેમના પર ફરી વળતા ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે દોડી આવી ચારેયને સારવાર માટે મોકલી આપ્યા હતા. ચાર દિવસની સારવાર બાદ ફરજ પરના ડોક્ટરે ચારેયનાં મોત નિપજ્યાંનું જણાવ્યું હતું. માધુપુરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ આદરી છે. ફાયર સેફ્ટીના અભાવે ચારેય કારીગરના જીવ લીધાઆગની ઝપેટમાં આવતા 80 ટકા જેટલા દાઝી જવાથી મોત નીપજ્યું હતું. ફાયરના અધિકારી અનુસાર, કોઈ બંધ રૂમ કે ફેક્ટરીમાં આગ લાગે ત્યારે અંદર રહેલો ઑક્સિજન વપરાઈ જતાં ત્યાં અતિ ગરમ વાયુઓ જમા થાય છે. આવા સમયે જો અચાનક શટર કે દરવાજો ખોલવામાં આવે તો બહારથી આવતો તાજો ઓક્સિજન અંદરના ગરમ વાયુ સાથે ભળીને ધડાકો કરે છે. જેને ફાયરની ભાષામાં બેકડ્રાફ્ટ કહે છે, જે આ ઘટનામાં થયો હોઇ, ચારેય કારીગરનાં મોત થયાં હતાં.

35 C