SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

31    C
...

વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાયુ:રાજકોટની સોરઠીયાવાડી સબડિવિઝનમાં માથાકૂટનો વીડિયો વાયરલ, સૌરાષ્ટ્ર - કચ્છમાં 247 ગામડાઓમાં અંધારપટ્ટ

સૌરાષ્ટ્ર અને કચ્છમાં 19 માર્ચે વાવાઝોડા સાથે વરસાદના કારણે 800 વીજ પોલ અને 28 ટ્રાન્સફોર્મર ધરાશાયી થતા 2645 ગામડાઓ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જોકે તેમાંથી 2440 ગામડાઓમાં વીજ પુરવઠો પૂર્વવત થઈ ગયો છે પરંતુ 247 ગામડાઓમાં હજુ અંધારપટ્ટ છે. જોકે રાજકોટમાં લાઈટ ગૂલ થતા અનેક જગ્યાએથી ગ્રાહકોએ કસ્ટમર કેર સેન્ટર અને સબ ડિવિઝન કચેરીમાં ફોન કર્યા હતા પરંતુ ફોન રીસીવ ન થતા ગ્રાહકો વિફર્યા હતા. આ દરમિયાન સોરઠીયાવાડી સબડિવિઝનમાં ટેલિફોનનું રીસીવર નીચે મૂકી દીધું હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં ગ્રાહક દ્વારા કર્મચારી સાથે માથાકૂટ પણ કરવામાં આવે છે. આ મામલે PGVCL દ્વારા કપાસના આદેશ આપવામાં આવ્યા છે અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર પાસે ખુલાસા રિપોર્ટ માગવામાં આવ્યો છે. PGVCL ના ચીફ એન્જિનિયર પી.જે.મહેતાએ જણાવ્યું હતું કે, 19 માર્ચના સવારે ભુજ, અંજાર, મોરબી, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો. જ્યારે બપોર બાદ અમરેલી, ભાવનગર અને બોટાદમાં વીજ સપ્લાયને અસર પહોંચી હતી. જોકે અમારી 573 ટીમો કાર્યરત હતી. જે બાદ સાંજ સુધીમાં 2645 ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જેમાંથી 2440 ગામડાઓમાં વીજ પુરવઠો કાર્યરત કરી દેવામાં આવ્યો છે. 800 જેટલા વીજ પોલ ધરાશયી થયા હતા અને 28 ટ્રાન્સફોર્મર પડી ગયા હતા. જેથી રૂ.101.86 લાખ જેટલું નુકશાન થયું છે. જ્યારે સોરઠીયાવાડી સબ ડિવિઝનમાં ફોન રીસીવર નીચે મૂકી દીધાનો વીડિયો વાયરલ થયો હતો તે બાબતે જણાવ્યું હતું કે, પીજીવીસીએલમાં 60 લાખ જેટલા ગ્રાહકો છે અને લાઇટ ગૂલ થાય ત્યારે ગ્રાહકોના ફોન ચાલુ થઈ જતા હોય છે આમ છતાં પણ કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે કે ગ્રાહકોના ફોન આવે ત્યારે તેમની ફરિયાદ તાત્કાલિક નોંધી વીજ પુરવઠો પૂર્વવત કરવા કાર્યવાહી કરવી. આ ઉપરાંત પીજીવીસીએલના રાજકોટ શહેરના અધિક્ષક ઇજનેર જીગ્નેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, સોરઠીયાવાડી સબ ડિવિઝનનો વિડીયો મળ્યા બાદ એક્ઝિક્યુટિવ એન્જિનિયર પાસે રિપોર્ટમાં ગયો છે અને તપાસ માટે આદેશ આપ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ જેમની જવાબદારી નક્કી થશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 1:29 pm

કંપનીના કર્મચારીને તેના જ ઈન્ચાર્જે છરી મારી દીધી:'તારે આ ટેબલ પર બેસવાનું નથી' કહીને ચપ્પુ વડે હુમલો કર્યો, મકપુરા GIDCમાંથી યુવકને સારવારમાં ખસેડાયો

વડોદરા શહેરના મકપુરા GIDCમાં આવેલી એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા એક કર્મચારીને તેના જ લાઇન ઇન્ચાર્જે છરીથી ઘાયલ કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોધવામાં આવી છે. આ ઘટનામાં અશોકભાઇ કંજલાભાઇ લટ્ટભાઇ રાઠવા (ઉંમર 24 વર્ષ)ને ગંભીર ઇજાઓ થતા તેને એસ.એસ.જી. હોસ્પિટલના ઈમેરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો છે. જાનથી મારી નાખવાની ધમકી આપી છરી વડે હુમલો કર્યોઆ મામલે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, તેઓ મકપુરા GIDCમાં આવેલી બરોડા બુશીંગ ઇન્સુલેટર પ્રા. લિ. કંપનીમાં કોપર કર્વાલીટી ચેક ડિપાર્ટમેન્ટમાં છેલ્લા ત્રણ મહિનાથી નોકરી કરે છે. તેઓ વડોદરાના તરસાલી વિસ્તારમાં રાજનગર સોસાયટી, એસ.આર. પેટ્રોલ પંપ પાસે ભાડાના મકાનમાં રહે છે અને મૂળ છોટાઉદેપુર જિલ્લાના અંબાલા પોસ્ટ, કોલી ગામના રહેવાસી છે. 'તારે આ ટેબલ પર બેસવાનું નથી'ગત રોજ તેઓ સવારે કંપનીમાં કામ દરમિયાન લાઇન ઇન્ચાર્જ રાજેન્દ્ર રાઠવા યુવકને ટેબલ પર બેઠેલો જોઈને ગુસ્સે થયા અને કહ્યું કે, તારે આ ટેબલ પર બેસવાનું નથી. બાદમાં યુવક ત્યાંથી ઉભા થઈ ગયા અને કામ ચાલુ રાખ્યું હતું. સાંજે આશરે 7.30 વાગ્યે ડ્યુટી પૂરી કરીને કંપનીના ગેટ પાસેથી બહાર નીકળતા સમયે રાજેન્દ્ર રાઠવા ત્યાં ઉભા હતા. છરી કાઢીને પેટમાં મારી દીધીઈજાગ્રસ્ત યુવકે તેમને પૂછ્યું કે મને ટેબલ પર કેમ બેસવા દેતા નથી? આના જવાબમાં રાજેન્દ્ર રાઠવાએ ગંદી ગાળો બોલી અને કહ્યું કે તને આજે જાનથી મારી નાખીશ. એમ કહીને તેમણે પોતાની મોટરસાઇકલમાંથી છરી (ચપ્પુ) કાઢી અને અચાનક પેટમાં, નાભી પાસે ડાબી બાજુએ ઘા માર્યો હતો. ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડાયોજેના કારણે યુવક ગંભીર ઇજા થતા બુમાબુમ થતાં કંપનીના અન્ય કર્મચારીઓ દોડી આવ્યા અને 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ બોલાવીને યુવકને SSG હોસ્પિટલ ખસેડ્યો હતો. હત્યાના પ્રયાસ સહિત ગુનો નોંધાયોયુવકે માંજલપુર પોલીસ મથકમાં રાજેન્દ્ર રાઠવા વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતના અન્ય ગુનાઓમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને આરોપીની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 1:28 pm

ભરૂચના ઝનોર પાસે નર્મદા કિનારે બે મગર દેખાયા, વીડિયો વાઈરલ:માછીમારોમાં ભય; વન વિભાગને કાર્યવાહીની માગ

ભરૂચના ઝનોર નજીક નર્મદા નદીના કિનારે એકસાથે બે મગર જોવા મળ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, નદી કિનારે ફરવા ગયેલા કેટલાક નાવિક યુવકોએ આ મગરોને પાણીના કિનારે શાંતિથી બેઠેલા જોયા હતા. તેમણે આ દ્રશ્યને પોતાના મોબાઈલમાં કેદ કરીને સોશિયલ મીડિયા પર મૂકતા જ વિડીયો ઝડપથી વાઈરલ થયો હતો. વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બંને મગર નદીના કિનારે આરામની સ્થિતિમાં છે. બોટના અવાજથી તેઓ નદીમાં ઉતરી જાય છે. આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં ભય અને આશ્ચર્ય ફેલાયું છે. ખાસ કરીને નદીમાં રોજિંદી માછીમારી કરતા માછીમારો માટે આ ચિંતાનો વિષય બન્યો છે. મગરોની હાજરીને કારણે માછીમારો નદીમાં ઉતરતા પહેલા સાવચેતી રાખી રહ્યા છે, જ્યારે કેટલાક માછીમારોએ હાલ પૂરતું નદીમાં જવાનું ટાળ્યું છે. ગ્રામજનોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે, કારણ કે મગરો કિનારા નજીક જોવા મળતા માનવી પર હુમલો કરવાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે. સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરીને મગરોને સલામત રીતે દૂર ખસેડવા અથવા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 1:15 pm

વલ્લભીપુરમાંથી 5 ચોરીના બાઈક સાથે યુવક ઝડપાયો:જેતપુર, જસદણ, વડોદરા સહિતના સ્થળેથી બાઈક ચોરી કર્યાની કબૂલાત

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે વલ્લભીપુરના નવાગામના ઢાળ પાસેથી ચોરીના બાઈક સાથે એક શખ્સને ઝડપી લીધો. તેની પાસેથી ચોરી કરેલા કુલ પાંચ મોટરસાયકલ કબ્જે કરવામાં આવ્યા હતાં. પોલીસે ઝડપાયેલ શખ્સની વધુ પૂછપરછ કરતાં, ગુજરાતનાં અલગ અલગ શહેરોમાંથી મોટરસાયકલ ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે શખ્સ સામે આગળની કાર્યવાહી માટે વલ્લભીપુર પોલીસને સોંપ્યો છે. ચોરાયેલા પાંચ મોટરસાઈકલ સાથે યુવક ઝડપાયોમળતી માહિતી અનુસાર, ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર તથા પાલીતાણા વિસ્તારમાં વણશોધાયેલ મિલકત સંબંધી ગુનાઓના શકદારોની તપાસમાં હતા. તે દરમ્યાન વલ્લભીપુર બસ સ્ટેન્ડ નજીક પહોંચતા બાતમી મળી હતી કે, અયોધ્યાપુરમ નવાગામના ઢાળ ખાતે એક શખ્સ નંબર પ્લેટ વગરના મોટરસાયકલો રાખી ગ્રાહકની શોધમાં છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી, જેમાં બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના વતની વિપુલભાઇ ચમનભાઇ ગોરાહવા તેના કબ્જામાંથી પાંચ ચોરાયેલા મોટરસાયકલ સાથે મળી આવ્યો હતો. પૂછપરછમાં અલગ અલગ જગ્યાએ ચોરી કર્યાની કબૂલાત કરીપોલીસે ચોરાયેલા મોટરસાયકલ અંગે તેની પાસે આધાર કે રજીસ્ટ્રેશનના કાગળોની પૂછપરછ કરતા, કોઇ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. પોલીસે કડક પુછપરછ કરતા, તેણે આશરે એક મહિનાની અંદર જેતપુર, જસદણ બસ સ્ટેશન, બગોદરા ચોકડી પાસે આવેલ મેલડી માતાજી મંદિર, વડોદરા કપુરાઈ ચોકડી તથા આટકોટ બસ સ્ટેશન વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી. આરોપી યુવકને વલ્લભીપુર પોલીસને સોંપ્યોપોલીસે તમામ મોટરસાયકલ કબ્જે કરી, વિપુલભાઇ ચમનભાઇ ગોરાહવા (ઉ.વ. 19) વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી, આગળની તપાસ માટે તેને વલ્લભીપુર પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 1:12 pm

સંતરામપુરમાં ધનવંતરી રથનો પ્રારંભ, ગ્રામ્ય આરોગ્ય સુધરશે:ડો. કુબેર ડિંડોરે લીલી ઝંડી આપી, સેવાઓ ગામડાં સુધી પહોંચશે

મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં ગ્રામ્ય વિસ્તારો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે 'ધનવંતરી રથ'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. પૂર્વ શિક્ષણ મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય ડો. કુબેર ડિંડોરે સંતરામપુર નગરપાલિકા ખાતેથી આ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ધનવંતરી રથ એક ચલિત આરોગ્ય સેવા એકમ તરીકે કાર્ય કરશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય અને દૂરસ્થ વિસ્તારોમાં રહેતા લોકોને પ્રાથમિક આરોગ્ય તપાસ, દવાઓ અને જરૂરી તબીબી માર્ગદર્શન પૂરું પાડવાનો છે. જે વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ નથી, ત્યાં આ રથ દ્વારા દર્દીઓને તાત્કાલિક સારવાર અને સલાહ મળી રહેશે. આનાથી લોકોનો સમય અને ખર્ચ બંને બચશે. આ પ્રસંગે સંતરામપુર નગરપાલિકા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહીસાગર જિલ્લા મંત્રી સંદીપભાઈ ભોઈ, જિલ્લા ST મોરચા મહામંત્રી ચંદ્રસિંહ ડામોર, સંતરામપુર નગર પ્રમુખ નિતીનભાઈ રાણા, તાલુકા મંડળ પ્રમુખ શૈલેન્દ્રસિંહ ખાંટ, નગરપાલિકા પ્રમુખ નિશાબેન મોદી, ઉપપ્રમુખ જીતેન્દ્રસિંહ ઝાલા, તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઈ વળવાઈ સહિતના અનેક આગેવાનો, કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવાના આ પ્રયાસને બિરદાવ્યો હતો. ધનવંતરી રથની શરૂઆત ગ્રામ્ય આરોગ્ય વ્યવસ્થાને સુદ્રઢ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે જરૂરિયાતમંદ લોકો સુધી આરોગ્ય સેવાઓ સરળતાથી પહોંચાડવામાં મદદરૂપ થશે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 12:54 pm

ભરૂચમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી:યુવા ભાજપ દ્વારા પક્ષીઓ માટે કુંડા વિતરણ કરાયું

આજે 20 માર્ચ, વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા યુવા ભાજપ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભરૂચ જિલ્લામાં યોજાયો હતો. આ વિશેષ જાગૃતિ કાર્યક્રમ ભાજપના યુવા મોરચાના ‘યુવા ફોર નેચર’ અભિયાન અંતર્ગત આયોજિત કરાયો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ઉનાળાની ઋતુમાં પક્ષીઓને પીવાનું પાણી સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, યુવા ભાજપ પ્રમુખ શક્તિ પરમાર સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ પર્યાવરણ સંરક્ષણ અને પક્ષીઓના સંવર્ધન માટે જનજાગૃતિ ફેલાવવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 12:51 pm

કોડીનાર અંબુજા ચોકડી પર કાર-બાઈક અકસ્માત:એક મહિલાનું મોત, બે ઘાયલ; CCTV ફૂટેજમાં અમર્યાદ ગતિ અને બેદરકારી કેદ

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર નજીક અંબુજા ચોકડી પર ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. બેદરકારીપૂર્વક દોડતી કારે બાઈકને ટક્કર મારતા આ અકસ્માત થયો હતો, જેમાં એક મહિલાનું મોત થયું છે અને અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાથમિક માહિતી અનુસાર, બાઈક પર સવાર બે વ્યક્તિઓ પોતાના માર્ગ પર જઈ રહ્યા હતા ત્યારે તેજ ગતિએ આવી રહેલી કારે તેમને ટક્કર મારી હતી. ટક્કરના કારણે બાઈક સવાર બંને વ્યક્તિ રસ્તા પર ફંગોળાઈ ગયા હતા અને તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ આસપાસના લોકોએ તાત્કાલિક મદદ કરી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. સારવાર દરમિયાન પીપળી ગામના 55 વર્ષીય સમજુબેન ભૂપતભાઈ ગોહિલનું મોત થયું હતું. અન્ય એક ઘાયલ વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અને તેની સારવાર ચાલી રહી છે. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ફૂટેજમાં કાર ચાલકની બેદરકારી અને તેજ ગતિ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. પોલીસે આ ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં જ કોડીનાર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં બેદરકારીભર્યું ડ્રાઈવિંગ અકસ્માતનું કારણ હોવાનું અનુમાન છે. પોલીસે કાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ ઘટનાએ સ્થાનિકોમાં માર્ગ સુરક્ષા અંગે ચિંતા ઊભી કરી છે. રહેવાસીઓ દ્વારા આ વિસ્તારમાં ટ્રાફિક નિયંત્રણ અને વાહનોની ગતિ પર નિયંત્રણ માટે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 12:41 pm

બોટાદ જૈન સંઘે રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કર્યું:નવપદની ઓળી પૂર્વે બહેનો-દીકરીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ભાગ લેશે

બોટાદ જૈન સંઘ દ્વારા નવપદની ઓળી પૂર્વે રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરાયું છે. આ સ્પર્ધા સાધુ ભગવંતોની નિશ્રામાં યોજાશે, જેમાં સંઘની બહેનો અને દીકરીઓ પ્રભુભક્તિમાં લીન થશે. આ સ્પર્ધા ટ્રેડિશનલ ડ્રેસમાં યોજાશે અને તેને બે રાઉન્ડમાં વિભાજિત કરવામાં આવી છે. પ્રથમ રાઉન્ડમાં 25 વર્ષથી નાની ઉંમરની બહેનો અને દીકરીઓ ભાગ લેશે, જ્યારે બીજા રાઉન્ડમાં 25થી 50 વર્ષની અને તેથી મોટી ઉંમરની બહેનો ભાગ લઈ શકશે. સ્પર્ધામાં ત્રણ વિભાગમાં વિજેતાઓને પુરસ્કૃત કરાશે. સ્પર્ધકો અને ઉપસ્થિતોના મનોરંજન માટે વિવિધ રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બોટાદ સંઘની બહેનો અને દીકરીઓને આ સ્પર્ધામાં ભાગ લેવા જણાવાયું છે. જેઓ સ્પર્ધામાં ભાગ ન લઈ શકે, તેઓને પણ જૈન સમાજના સભ્યો તરીકે હાજર રહેવા અનુરોધ કરાયો છે. આ કાર્યક્રમ 22 માર્ચ, 2026, રવિવારના રોજ બપોરે 2 થી 4 વાગ્યા દરમિયાન બોટાદના નેમી ઉદય નંદન ઉપાશ્રય ખાતે યોજાશે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 12:40 pm

આણંદમાં કમોસમી વરસાદથી રવિ પાકને વ્યાપક નુકસાન:ચણાનો તૈયાર પાક પલળી ગયો, જુવારનો પાક આડો પડી જતાં ઘાસચારો બગડ્યો, ખેડૂતોની સરકારી સહાયની માંગ

આણંદ જિલ્લામાં કમોસમી વરસાદ અને ભારે પવનને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. ખાસ કરીને ખંભાત અને તારાપુર તાલુકાના ભાલ પંથકમાં રવિ પાકને માઠી અસર પહોંચી છે. ગઈકાલે પડેલા કમોસમી વરસાદ અને તેજ પવનને કારણે ખેતરોમાં તૈયાર થયેલો પાક જમીનદોસ્ત થઈ ગયો હતો. દહેડા ગામના ખેડૂત મહેશ દેવેન્દ્ર રાઠોડે જણાવ્યું કે, ચણાનો પાક તૈયાર હતો ત્યારે જ વરસાદ પડતા પાક પલળી ગયો છે. તેમણે મોંઘા બિયારણ અને મહેનતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, પલળેલા ચણાને યોગ્ય ભાવ મળવો મુશ્કેલ બનશે. યુવા ખેડૂત અજયસિંહ રાઠોડે 10 વીઘામાં વાવેલા ચણાના પાકને વરસાદથી નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, ચણાનો પાક કાળો પડી ગયો છે અને તેનો ભૂસો પણ પશુઓના ઘાસચારા તરીકે ઉપયોગમાં લઈ શકાશે નહીં. દહેડાના અન્ય એક ખેડૂત વિક્રમસિંહ રાઠોડે તેમના 10 વીઘાના જુવારના પાકને થયેલા નુકસાન વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, પવનને કારણે જુવારનો પાક આડો પડી ગયો છે અને તે પશુઓના ઘાસચારા માટે પણ યોગ્ય રહ્યો નથી. ભાલ પંથકમાં ઘઉં, જુવાર, ચણા ઉપરાંત તમાકુ અને ટામેટીના પાકને પણ અસર થઈ છે. ખેડૂતોના મતે, વરસાદને કારણે ઘઉંની ઉંબીઓમાં પાણી ભરાઈ જવાથી ઘઉંનો લોટ કાળો પડશે અને ગુણવત્તા બગડતા બજારમાં યોગ્ય ભાવ મળશે નહીં. ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી છે. તેમણે વિનંતી કરી છે કે, સરકાર વહેલી તકે નુકસાનીનો સર્વે કરાવી યોગ્ય આર્થિક સહાય પૂરી પાડે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 12:33 pm

મોરબીમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન:જીરું, ચણા, ઘઉં, લસણ, ડુંગળીના પાકને અસર

મોરબી જિલ્લામાં ગઈકાલે બપોરથી વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાયો હતો. જેના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે. ખાસ કરીને જીરું, ચણા, લસણ અને ઘઉં જેવા તૈયાર પાકોને અસર થતા ખેડૂતો ચિંતિત બન્યા છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. ગઈકાલે બપોરના ચારેક વાગ્યાના અરસામાં મોરબીના પાંચેય તાલુકામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. આ વાવાઝોડાના કારણે કેટલીક જગ્યાએ હોર્ડિંગ બોર્ડ અને વૃક્ષો ધરાશાયી થયા હતા, જ્યારે કારખાનાના પતરા પણ ઉડી ગયા હતા. ખેતીના પાકમાં પણ મોટા પાયે નુકસાન નોંધાયું છે. મોરબી તાલુકાના ઘુટુ ગામમાં ખેડૂતોએ ચણા, લસણ, જીરું અને ઘઉં જેવા પાકોનું વાવેતર કર્યું હતું. મોટાભાગના પાક તૈયાર થઈ ગયા હતા અને તેની લણણીની કામગીરી ચાલી રહી હતી. ઘુટુ ગામના માજી સરપંચ દેવજીભાઈ પરેચાએ જણાવ્યું હતું કે, ચણા, જીરું અને લસણના પાથરા કરીને ખેડૂતોએ પોતાના ખેતરમાં રાખ્યા હતા. જોકે, ભારે પવનના કારણે આ પાથરા ઉડી ગયા હતા અને કમોસમી વરસાદથી તૈયાર પાકને મોટું નુકસાન થયું છે. કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકાર તરફથી વળતર મળે તેવી ખેડૂતો લાગણી વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે જો સહાય નહીં મળે તો આગામી સિઝનમાં બિયારણ ખરીદીને વાવેતર કરવું મુશ્કેલ બનશે અને તેઓ પાયમાલ થઈ જશે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 12:30 pm

મિલેટ એક્સ્પોના કાર્ડમાં વિવાદ:કૃષિમંત્રી જીતુ વાઘાણીનું નામ ગાયબ, નિમુબેન બાંભણીયાનો ફોટો ગાયબ!

ભાવનગર શહેરના આંગણે આવતીકાલથી બે દિવસ 21 અને 22 માર્ચ દરમિયાન ખેડૂતો અને નાગરિકોમાં મિલેટ પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે ભવ્ય 'મિલેટ એક્સ્પો'નું આયોજન કરવામાં આવ્યું છે, આ કાર્યક્રમનું ઉદ્ધાટન મંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને યોજાશે. જોકે, આ કાર્યક્રમની પત્રિકા અને આમંત્રણને લઈને અત્યારથી જ રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે, ​આમંત્રણ પત્રિકામાં જોવા મળતી વિસંગતતા મુજબ ઈન્વિટેશનમાં કૃષિમંત્રીનો ફોટો હોવા છતાં જીતુ વાઘાણીનું નામ કપાયું છે, જ્યારે બીજી તરફ રાજ્યકક્ષાના મંત્રી અને સાંસદ નિમુબેન બાંભણીયાનું નામ છે પણ તેમનો ફોટો ગાયબ જોવા મળી રહ્યો છે, આ નિમંત્રણ પત્રિકામાં વિશેષ અતિથિથી તરીકે નિમુબેન બાંભણીયા, રાજયકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકી, વિશેષ ઉપસ્થિતમાં ભાવનગર પૂર્વના સેજલબેન પંડ્યા, મહુવાના ધારાસભ્ય શિવા ગોહિલ, તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણ, પાલીતાણાના ધારાસભ્ય ભીખા બારૈયા, ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા તથા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીર વાઘાણી નું પણ નામ આ નિમંત્રણ પત્રિકામાં નાખવામાં આવ્યું હતું. મિલેટ અંગે ખેડૂતો તેમજ નાગરિકોમાં વ્યાપક જનજાગૃતિ વધારવાના હેતુસર ભાવનગરના જવાહર મેદાન ખાતે આવતીકાલથી તા.21 અને 22 માર્ચ દરમિયાન દ્વિ-દિવસીય ‘મિલેટ એક્સ્પો’નું આયોજન કરવામાં આવ્યું છે, આ એક્સ્પોમાં રાગી, કાંગ, બાજરી સહિતના વિવિધ મિલેટ આધારિત ઉત્પાદનો, લાઈવ ફૂડ સ્ટોલ તેમજ પ્રાકૃતિક કૃષિ આધારિત નવીન પ્રોડક્ટ્સનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવશે, આ ઉપરાંત મિલેટના પોષણમૂલ્ય અને ઉપયોગિતા અંગે જનજાગૃતિ ફેલાય તે માટે વિવિધ માહિતીપ્રદ પ્રવૃત્તિઓ પણ યોજાશે. મ્યુનિસિપલ કમિશનરએ સંબંધિત અધિકારીઓને સોંપાયેલી કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા તથા સમગ્ર આયોજન સુચારૂ અને અસરકારક બને તે માટે જરૂરી માર્ગદર્શન અને દિશાનિર્દેશ આપ્યા હતા, ઇન્ચાર્જ જિલ્લા ખેતીવાડી અધિકારી મહમદ રિઝવાન ઘાંચીએ જણાવ્યું હતું કે, એક્સ્પોમાં મિલેટ તથા પ્રાકૃતિક કૃષિ આધારિત અંદાજે 50 જેટલાં સ્ટોલ્સ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જે નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ અંગે કમિશનર આર.કે.મિનાને પૂછતાં જણાવ્યું હતું કે, આ અમદાવાદમાં મુખ્ય કાર્યક્રમમાં છે તેમાં જીતુભાઈ મુખ્ય અતિથિ તરીકે છે, રાજયકક્ષાનનો કાર્યક્રમ છે એટલે એમાં બધા જોડાશે, રાજ્યકક્ષાના કાર્યક્રમમાં જોડાવા છે એટલે એ જ લોજીકથી તેનું નામ લખ્યું નથી, રાજ્યકક્ષાના કાર્યક્રમમાં 16 જગ્યાએ કોર્પોરેશનમાં કાર્યક્રમ છે તે બધાને ત્યાંથી જ સંબોધવાના છે, નિમુબેન બાંભણિયાના નિમંત્રણમાં ફોટા અંગે પૂછતા તેમને જણાવ્યું હતું કે, આ બધું જિલ્લા પંચાયત કચેરીમાંથી થયું છે એ હું જોડાવી લઉં છું.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 12:28 pm

પાટણમાં વિશ્વ ચકલી દિવસે 5,000થી વધુ માળા-કુંડાનું વિતરણ:લુપ્ત થતી ચકલીઓ બચાવવા વિવિધ સંસ્થાઓએ વિનામૂલ્યે વિતરણ કર્યા

વિશ્વભરમાં 20 માર્ચે 'વિશ્વ ચકલી દિવસ' ઉજવાય છે. આ નિમિત્તે પાટણ શહેરમાં શુક્રવારે વિવિધ સામાજિક અને પર્યાવરણલક્ષી સંસ્થાઓ દ્વારા ચકલીઓના સંરક્ષણ માટે કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમો અંતર્ગત કુલ 5,000થી વધુ પક્ષીઘર અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. લુપ્ત થતી ચકલીઓની પ્રજાતિને બચાવવા અને પર્યાવરણ જાગૃતિ લાવવાનો આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ હતો. આર્યવ્રત નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ પાટણ, પ્રકૃતિ મંડળ મહેસાણા, ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અને મિશન ગ્રીન દ્વારા સંયુક્ત રીતે શહેરના યશ પ્લાઝા ખાતે 2,000 ચકલીઘર અને 2,000 પાણીના કુંડાનું વિતરણ કરાયું. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ નિલેશ રાજગોર, ધારાસભ્ય કિરીટ પટેલ અને હુડકોના ચેરમેન કે.સી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારે ચકલી બચાવો અભિયાન ચલાવી રહી છે. બીજી તરફ, અબોલ જીવ સેવાયજ્ઞ સેવાલય નોરતા અને ઓમ શિવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ પાટણ દ્વારા પણ પક્ષીઓ માટે માટીના કુંડા અને માળાનું વિતરણ કરાયું હતું. નોરતા ગામના પૂર્વ સરપંચ વિષ્ણુ પટેલ, વિરુ યોગી અને બકાજી ઠાકોરના સહયોગથી 1,100 જેટલા માટીના કુંડા અને માળા આપવામાં આવ્યા હતા. રોટલીયા હનુમાન દાદાના સેવક વિપુલ મહારાજના હસ્તે આ કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. વધતા રેડિયેશન અને ઉનાળાની ગરમીમાં પક્ષીઓને આશ્રય મળી રહે તે હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં આનંદ સરોવર ખાતે સેલ્ફી પોઈન્ટ ઊભો કરી નાગરિકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, મોતીભા ફાઉન્ડેશન દ્વારા યશ હોમ્સ કોમ્પલેક્ષ ખાતે 1,000 પાણીના કુંડા, 1,000 માટીના કુંડા અને 2,500 લાકડાના માળાના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. ફાઉન્ડેશન દ્વારા લાકડાના માળા લગાવવા ઈચ્છુક લોકો માટે રજીસ્ટ્રેશનની સુવિધા પણ રાખવામાં આવી હતી, જેમાં સંસ્થાની ટીમ દ્વારા લાભાર્થીઓના ઘરે જઈને માળા લગાવી આપવામાં આવશે. આ સેવા કાર્યમાં ધર્મેન્દ્ર રાજગોર, જનકસિંહ ગોહિલ, ગોપાલ રાઠોડ, અમિત રાવલ, મનીષ પટેલ, દર્શન ભટ્ટ અને જિજ્ઞેશભાઈ પ્રજાપતિ સહિતના કાર્યકરો જોડાયા હતા. પાટણની જનતાએ આ તમામ સેવાકીય પ્રકલ્પોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ ચકલી બચાવો અભિયાનમાં સહયોગ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 12:22 pm

ભરૂચના નબીપુર પંથકમાં આખી રાત વીજળી ગુલ:કમોસમી વરસાદથી પુરવઠો ખોરવાયો, ગ્રામજનોમાં રોષ

ભરૂચ જિલ્લાના નબીપુર પંથકમાં કમોસમી વરસાદ અને ભારે પવનને કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. નબીપુર, બંબુસર, જંગાર, માંચ અને સિતપોણ સહિતના ગામોમાં આખી રાત અંધારપટ છવાયો હતો. ગ્રામજનોએ GEBના અધિકારીઓ અને કર્મચારીઓની બેદરકારીનો આરોપ લગાવ્યો છે. તેમના મતે, સમયસર વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં વિલંબ થયો હતો. ગામના સરપંચે જણાવ્યું કે, વારંવાર રજૂઆતો છતાં યોગ્ય કામગીરી થતી નથી. સ્થાનિક યુવાનોની મદદથી રાત્રે લગભગ 4 વાગ્યે વીજ પુરવઠો ફરી શરૂ કરી શકાયો હતો. આ વિસ્તારોમાં જૂના અને નબળા વીજ પોલ તેમજ લાઈનોની આસપાસ ઉગી નીકળેલા ઝાંખરાને કારણે સમારકામની કામગીરીમાં મુશ્કેલીઓ ઊભી થાય છે. ગ્રામજનોએ તાત્કાલિક જૂના વીજ પોલ બદલવા અને વીજ લાઈનોની આસપાસ સફાઈ કરવાની માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 12:12 pm

જામનગરમાં વીજ સબ સ્ટેશન પર વૃક્ષ પડ્યું:મધરાત સુધી કવાયત બાદ વીજ પુરવઠો પૂર્વવત કરાયો

જામનગરમાં ગતરોજ આવેલા મિની વાવાઝોડાને કારણે સત્યનારાયણ મંદિર રોડ પરના વીજ સબ સ્ટેશન પર એક વિશાળ વૃક્ષ ધરાશાયી થયું હતું. આ ઘટનાને પગલે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેને પુનઃસ્થાપિત કરવા માટે વીજતંત્ર દ્વારા મધરાત સુધી કવાયત હાથ ધરવામાં આવી હતી. આઝાદ બાગનું આ વૃક્ષ વીજ સબ સ્ટેશન પર તૂટી પડતાં ભારે નુકસાન થયું હતું. એક વીજ થાંભલો પણ વાંકો વળી ગયો હતો અને વાયરો તૂટી ગયા હતા. આ ઘટનાને કારણે હજારો ઘરોમાં અંધારપટ છવાઈ ગયો હતો. વીજ સબ સ્ટેશન પરથી વૃક્ષના અવશેષો હટાવવા માટે હાઈડ્રોલિક ક્રેઈનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તૂટેલા વીજ વાયરોના પુનઃજોડાણ માટે મહાનગરપાલિકાની ટીમના સહયોગથી વીજતંત્ર દ્વારા અડધી રાત સુધી કામગીરી ચાલી હતી. આ કામગીરી દરમિયાન સત્યનારાયણ મંદિર રોડ પરનો વાહનવ્યવહાર પણ બંધ રાખવામાં આવ્યો હતો. આખરે, મધરાતે 12 વાગ્યે સમારકામ પૂર્ણ થતાં વીજ પુરવઠો પૂર્વવત થયો હતો. જામનગર જિલ્લા સહિત હાલાર પંથકમાં અચાનક પલટાયેલા વાતાવરણ અને ગાજવીજ સાથેના વરસાદ વચ્ચે અન્ય એક ઘટના પણ સામે આવી હતી. કાલાવડ તાલુકાના શનાળા ગામે એક ખેડૂતના મકાન પર આકાશી વીજળી ત્રાટકી હતી, જેના કારણે મોટું નુકસાન થયું હતું. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ મકાનની મજબૂત છતમાં મોટું ગાબડું પડી ગયું હતું. પરિવારે જાનહાનિ ટળતા રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે આઝાદ બાગમાં કમ્પાઉન્ડ વોલ પાસે અન્ય ઘણા જોખમી વૃક્ષો આવેલા છે, જે આસપાસના રહેણાંકો પર તૂટી પડવાનો ભય ધરાવે છે. સ્થાનિકો પર ઝળુંબતા આ જોખમને ટાળવા માટે આવા વૃક્ષોનું નિયંત્રિત છેદન કરવું જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 12:03 pm

અમદાવાદના પૂર્વ વિસ્તાર નરોડામાં 'ઝુલેલાલ મહોત્સવ':CM ભૂપેન્દ્ર પટેલ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવશે; પ્રથમવાર રૂ. 3 કરોડનો વીમો લેવાયો

અમદાવાદના નરોડા વિસ્તારમાં સિંધી સમાજના આરાધ્ય દેવ ભગવાન ઝુલેલાલજીના જન્મોત્સવ 'ચેટીચંડ'ની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આજે બપોરે 1 કલાકે એક શાહી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું પ્રસ્થાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લીલી ઝંડી બતાવીને કરાવશે. નરોડા પાટિયાથી શરૂ થઈ કુબેરનગર અને સરદારનગર જેવા સિંધી બહુલ વિસ્તારોમાં ફરનારી આ યાત્રામાં 100 જેટલી ઝાંખીઓ દ્વારા સિંધી સંસ્કૃતિ અને 'બેટી બચાવો, બેટી પઢાવો' જેવા સામાજિક સંદેશાઓ રજૂ કરવામાં આવશે. આ વર્ષે સુરક્ષાના ભાગરૂપે પ્રથમવાર સમગ્ર શોભાયાત્રાનો 3 કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે, જે આ આયોજનની વિશેષતા છે. ધારાસભ્ય પાયલ કુકરાણી અને સ્થાનિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાનાર આ ઉત્સવને લઈને સમગ્ર પૂર્વ અમદાવાદના સિંધી સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 11:59 am

પાટણમાં સિંધી સમાજે ચેટીચંદ પર્વની ઉજવણી કરી:ઝૂલેલાલ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા

સિંધી સમાજ દ્વારા ચૈત્ર સુદ બીજ, શુક્રવારના રોજ ઈષ્ટદેવ ઝૂલેલાલ ભગવાનના જન્મોત્સવ અને નૂતન વર્ષ 'ચેટીચંદ'ની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના ચાચરિયા ચોક ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ચાચરિયા ચોકમાં બિરાજમાન ઈષ્ટદેવ ઝૂલેલાલ ભગવાન, કુળદેવી હિંગળાજ માતાજી અને અખંડ જ્યોત સાહેબના સાનિધ્યમાં વહેલી સવારથી ધાર્મિક વિધિઓનો પ્રારંભ થયો. તારીખ 20/03/2026ના રોજ સવારે 8:00 વાગે નિજ મંદિરે ભગવાનનો શાહી શણગાર કરવામાં આવ્યો. સ્નાનવિધિ નરેશ પોહાણી દ્વારા, વસ્ત્ર પહેરામણી મહેન્દ્ર ઠક્કર દ્વારા અને મુગટ કવચ-કુંડળ વિધિ ચંદીરામ ઠક્કર દ્વારા સંપન્ન થઈ. આ ઉપરાંત, દુશાલા વિધિ અને તિલક વિધિ રૂપચંદ ઠક્કર દ્વારા, હાર પહેરામણી નાનુંમલ ઠક્કર દ્વારા તેમજ ધજા પૂજન જય ઝૂલેલાલ મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું. પરંપરાગત રીતે સવારની આરતી ગોરધનદાસ ગોપાલદાસ ઠક્કર (બેબાસેઠ) પરિવાર દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે કરવામાં આવી. ઉત્સવ દરમિયાન સવારના નાસ્તાની વ્યવસ્થા દિનેશ નારવાણી અને ચંદ્રકાંત ઠક્કર દ્વારા કરાઈ હતી, જ્યારે શરબતની સેવા રાજેશકુમાર ઠક્કર દ્વારા પૂરી પાડવામાં આવી. ચાચરિયા ચોકમાં આયોજિત ભૈરાણાં કાર્યક્રમમાં ઝૂલેલાલ રાસ મંડળના ભજનો પર શ્રદ્ધાળુઓ ભક્તિભાવપૂર્વક જોડાયા. આ પ્રસંગે માટલીમાં મીઠા ભાત, ચણા, લવિંગ, ઈલાયચી, કેસર અને સુકામેવા ધરાવી તેને જળમાં પ્રવાહિત કરવાની વિધિ પણ કરવામાં આવી. બપોરના સમયે ખાડિયા મુકામે ઝૂલેલાલ રાસ મંડળ દ્વારા સામૂહિક ભોજનનું આયોજન કરાયું. દિવસ દરમિયાન મહાપ્રસાદીનો લાભ શકનભાઈ ગોપાલદાસ ઠક્કરે લીધો, જ્યારે ભેરાણા સાહેબની આરતી યોગેશકુમાર ઘનશ્યામદાસ હરવાણી દ્વારા કરવામાં આવી. સાંજના સમયે ગિરધારીલાલ ઠક્કરના યજમાનપદે રથ સવારીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મહોત્સવમાં પાટણના સિંધી સમાજના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને નૂતન વર્ષની વધામણી કરી.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 11:58 am

ગઢડામાં કમોસમી વરસાદ, વાવાઝોડાથી ખેતીને નુકસાન:ઘઉં, ચણા, જીરું સહિતના પાકને અસર, ખેડૂતો ચિંતિત

બોટાદ જિલ્લાના ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ અને મીની વાવાઝોડાને કારણે ખેતીને વ્યાપક નુકસાન થયું છે. ઘઉં, ચણા, જીરું, વરિયાળી સહિતના પાકને અસર થઈ છે, જ્યારે અનેક સ્થળોએ વૃક્ષો પણ ધરાશાયી થયા છે. ગઈકાલે સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસતા થોડા સમય માટે નાસભાગ મચી હતી. આ કુદરતી આફતથી ખેડૂતો ફરી મુશ્કેલીમાં મુકાયા છે. ગઢડા શહેર ઉપરાંત અડતાળા, લાખણકા, ખોપાળા, ઢસા, માંડવધાર, ગોરડકા, કેરાળા, રામપરા, રોજમાળ, રણીયાળા, સમઢીયાળા, પીપળ, ગુંદાળા, પાટણા, ટાટમ, ભીમદાડ, લીંબાળી, લીંબડીયા સહિતના ગામોમાં નુકસાન નોંધાયું છે. ઘઉં, ચણા, જીરું, નિરણ અને વરિયાળી જેવા પાકોને ભારે અસર થઈ છે. કેટલાક ખેડૂતોનો કપાસ વીણવાનો બાકી હતો તે પણ પલળી ગયો છે. ખેતરોમાં તૈયાર થયેલા ચણા અને ઘઉંના પૂળા પણ પલળી ગયા હતા. જોરદાર પવનના કારણે ઊભા ઘઉંના પાકને પણ નુકસાન થયું છે, જેનાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતો પર વારંવાર કુદરતી આફત આવી રહી છે. અગાઉના માવઠાના મારથી હજુ ખેડૂતો બેઠા થયા ન હતા ત્યાં ફરી આ નુકસાન થયું છે. ગઢડા પંથકના ખેડૂતો સરકાર દ્વારા તાત્કાલિક મદદ મળે તેવી આશા રાખી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 11:57 am

મોડીરાત સુધી લાઈટ ન આવતા લોકોની ધીરજ ખૂટી:કારેલીબાગ વિસ્તારના રહીશોનો ઈજનેર કચેરીએ હોબાળો; વાવાઝોડાને કારણે ફીડર બંધ થયા હતાઃ ડેપ્યુટી ઈજનેર

વડોદરા શહેરમાં ગત મોડી સાંજે એકાએક ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. આ પવનના કારણે શહેરમાં 11 જેટલા ઝાડ ધરાશાઈ થયા હોવાના કોલ વડોદરા ફાયર વિભાગને મળ્યા હતા. આ સાથે શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થતા રહીશોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. વડોદરા શહેરમાં સબ સ્ટેશન બંધ થતા 20થી વધુ ફીડરો ઠપ થતા હજારો ઘરોમાં અંધારપટ છવાયો હતો. આ કારણે કેટલાક વિસ્તારમાં લોકો વીજ કંપનીની ઓફિસે જઈ હોબાળો મચાવ્યો હતો. હાજર કર્મી અને લોકો વચ્ચે બબાલશહેરના કારેલીબાગ વિસ્તારમાં વીજ પુરવઠો સમયસર ન આવતા કારેલીબાગ વિસ્તારમાં રહીશો MGVCL કારેલીબાગ પેટ વિભાગ ખાતે નાયબ ઈજનેર કચેરી પહોંચી હોબાળો મચાવ્યો હતો. અહીંયા હાજર કર્મી અને લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી. સાથે આ મામલે લોકોએ જવાબદાર અધિકારી સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. વીજ પુરવઠો ચાલુ કરવો સેફ્ટી પ્રોટોકોલ મુજબ મુશ્કેલઃ ડેપ્યુટી એન્જિનિયરઆ મામલે અમે કારેલીબાગ નાયબ ઈજનેર કચેરીના ડેપ્યુટી એન્જિનિયર પંકજ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, ગત રાત્રે વાવાઝોડા બાદ શરૂઆતના એક કલાકમાં એક બાદ એક છથી સાત ફીડર બંધ થયા હતા. આ પરિસ્થિતિમાં તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો ચાલુ કરવો તે સેફ્ટી પ્રોટોકોલ મુજબ મુશ્કેલ હોય છે. વાવાઝોડું બંધ થયા બાદ એક પછી એક ફીડર પર પુરવઠો શરૂ કરતા રાત્રિના અગિયાર વાગ્યા હતા, જેથી સ્થાનિક લોકોએ કચેરી આવી હોબાળો મચાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 11:52 am

યોગ ગુરુ-જમીન દલાલ બેડરૂમમાં જ પ્રિન્ટર મૂકીને 'લક્ષ્મીજી' છાપવા માંડ્યા:જે હાથમાં યોગની મુદ્રા-માળા હોવી જોઈએ ત્યાં નકલી નોટોના થોકડા; જાણો પ્રદીપ કેમ બન્યો ‘નકલી નોટોનો સોદાગર’

જે હાથમાં યોગની મુદ્રાઓ અને માળા હોવી જોઈએ, એ હાથોમાં આજે 500-500ની નકલી નોટોના થોકડા છે! સુરતનો એક કહેવાતો યોગ ગુરુ અને જમીન દલાલ રાતોરાત અમીર બનવાના એવા રવાડે ચઢ્યા કે ઘરના ખૂણે જ કલર પ્રિન્ટર મૂકીને 'લક્ષ્મીજી' છાપવા માંડ્યા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જ્યારે ફોર્ચ્યુનર કાર રોકી ત્યારે અંદરથી એટલી નોટો નીકળી કે પોલીસ ગણતા-ગણતા થાકી ગઈ અને આખરે બેંકમાંથી નોટો ગણવાનું મશીન મંગાવવું પડ્યું. આ હાઈ-પ્રોફાઈલ રેકેટમાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ભંડોળ ખૂટતા યોગ ગુરુ બન્યો ‘નકલી નોટોનો સોદાગર’આ કેસમાં મુખ્ય આરોપી તરીકે સુરતના કામરેજ પાસે 'શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન' ચલાવતા પ્રદીપ જોટંગીયાનું નામ બહાર આવ્યું છે. તપાસમાં ખુલાસો થયો છે કે પ્રદીપ યોગ ક્લાસ દ્વારા લોકોના અસાધ્ય રોગો દૂર કરવાનો દાવો કરતો હતો. જોકે, સંસ્થા ચલાવવા માટે પૂરતું ભંડોળ ન મળતા તેણે રાતોરાત અમીર બનવાના રસ્તે નકલી નોટો છાપવાનું શરૂ કર્યું હતું. સેવાના નામે ચાલતા આ NGOના આકાએ અન્ય સાથીદારો સાથે મળીને આખું નેટવર્ક ઊભું કર્યું હતું. શા માટે નકલી નોટો છાપવાનું શરૂ કર્યું?પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ આર્થિક સંકડામણમાં હતા. ખાસ કરીને પ્રદીપ જોટંગીયાને તેની સંસ્થા ચલાવવામાં અને દર્દીઓની સુવિધા ઉભી કરવામાં નાણાંની જરૂર હતી. બીજી તરફ જમીન દલાલ મુકેશ ઠુમ્મર પણ આર્થિક મુશ્કેલીમાં હોવાથી આ ટોળકીએ ભેગા મળીને શોર્ટકટ અપનાવ્યો હતો. અસલ જેવી જ દેખાતી નોટો છાપીને બજારમાં વટાવી દેવાનો તેમનો મનસૂબો હતો, જેથી તેઓ પોતાની આર્થિક જરૂરિયાતો અને લક્ઝરી લાઈફસ્ટાઈલ પૂરી કરી શકે. છેલ્લા 3 મહિનાથી સુરતના રહેણાંક મકાનમાં ચાલતી હતી મિની ‘નાસિક પ્રેસ’પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ નકલી નોટોનું કારખાનું છેલ્લા ત્રણ મહિનાથી સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા ક્રિષ્ના રો-હાઉસમાં ધમધમતું હતું. આરોપી મુકેશ ઠુમ્મરે પોતાના બે માળના મકાનમાં જ કલર પ્રિન્ટર, કટર મશીન અને ખાસ પ્રકારના કાગળ લાવીને નકલી નોટો છાપવાનું શરૂ કર્યું હતું. નવાઈની વાત એ છે કે તેના પહેલા માળે ભાડૂઆતો રહેતા હતા, છતાં કોઈને ખબર ન પડે તે રીતે આ ટોળકી રાત-દિવસ 500ની નોટો છાપવામાં મશગૂલ રહેતી હતી. ફોર્ચ્યુનર કારમાં 'ખજાનો' ભરીને અમદાવાદ આવ્યા અને પોલીસની જાળમાં ફસાયાઆરોપીઓ સુરતથી પોતાની લક્ઝરિયસ ફોર્ચ્યુનર કાર (GJ-05-RS-5252)માં કરોડોની નકલી નોટો ભરીને ગ્રાહકો શોધવા માટે અમદાવાદ આવ્યા હતા. કારની અંદર કાળા રંગની બેગ અને સફેદ થેલાઓમાં 500ના દરની નોટોના 440 જેટલા બંડલ વ્યવસ્થિત રીતે પેક કરવામાં આવ્યા હતા. જોકે, ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ કારને આંતરી લીધી હતી અને અંદર તપાસ કરતા પોલીસ અધિકારીઓ પણ એક ક્ષણ માટે ચોંકી ગયા હતા. વોટર માર્ક પણ પ્રિન્ટ કરેલાપોલીસે જ્યારે જપ્ત કરેલી નોટોની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે આરોપીઓએ અત્યંત ચાલાકીથી નોટો છાપી હતી. અસલ નોટોમાં જે વોટર માર્ક હોય છે, તેને આરોપીઓએ પ્રિન્ટર દ્વારા નોટો પર ઉપસાવ્યા હતા. જોકે, કાગળની ગુણવત્તા થોડી નબળી હોવાથી પંચોની હાજરીમાં તેની ઓળખ થઈ શકી હતી. આ નોટોને તપાસ માટે ગાંધીનગર FSLમાં મોકલવામાં આવી છે, જેથી તેની બનાવટમાં વપરાયેલા કેમિકલ અને પેપરની ચોક્કસ વિગતો જાણી શકાય. આ ટોળકીમાં દરેકને અલગ-અલગ જવાબદારી સોંપવામાં આવી હતી. કોઈ કાગળની વ્યવસ્થા કરતું, તો કોઈ ગ્રાહકો શોધવાનું કામ કરતું હતું. મહિલા આરોપી આરતીબેન પણ આ રેકેટમાં સક્રિય ભૂમિકા ભજવતી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ નોટો ગણતા થાકી એટલે મશીન મંગાવવું પડ્યુંજપ્ત કરાયેલો મુદ્દામાલ એટલો મોટો હતો કે પોલીસ સ્ટાફ માટે હાથથી નોટો ગણવી અશક્ય બની ગઈ હતી. કાળા રંગની બેગમાંથી 20,078 નંગ નોટો મળી આવી હતી, જેની ગણતરીમાં જ કલાકો વીતી ગયા હતા. ત્યારબાદ પૂંઠાના બોક્સમાં રહેલી બીજી હજારો નોટો જોઈને પોલીસ અધિકારીઓ પણ થાકી ગયા હતા. અંતે પરિસ્થિતિને જોતા નોટો ગણવાનું મશીન મંગાવવાની ફરજ પડી હતી, જેથી ઝડપથી અને ચોકસાઈપૂર્વક આંકડો મેળવી શકાય. સીરીયલ નંબરની એન્ટ્રી કરવામાં પોલીસના નાકે દમ આવી ગયોમાત્ર નોટો ગણવી જ નહીં, પરંતુ પંચનામા માટે દરેક નોટના સીરીયલ નંબર અને સીરીઝની એન્ટ્રી કરવી પોલીસ માટે મોટો પડકાર હતો. ક્રાઈમ બ્રાન્ચની કચેરીમાં ત્રણ ડેસ્કટોપ અને એક લેપટોપ પર સતત ઓપરેટરો બેસાડીને એક્સેલ શીટ તૈયાર કરવામાં આવી હતી. એક તરફ સ્ટાફ નંબર બોલતો હતો અને બીજી તરફ એન્ટ્રી થતી હતી. આ પ્રક્રિયા એટલી લાંબી ચાલી કે પોલીસ સ્ટાફ અને પંચો માનસિક અને શારીરિક રીતે લોથપોથ થઈ ગયા હતા. સુરતમાં મુકેશ ઠુમ્મરના ઘરેથી પ્રિન્ટર અને લિક્વિડ જપ્તઅમદાવાદમાં ધરપકડ બાદ પોલીસની એક ટીમ તાત્કાલિક સુરત દોડી ગઈ હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સરથાણા પોલીસની મદદથી મુકેશ ઠુમ્મરના ઘરે સર્ચ કરવામાં આવ્યું હતું. ત્યાંથી 500ની નોટોના વધુ 28 બંડલ (28 લાખ રૂપિયા), કલર પ્રિન્ટર, કાગળની 8 રીમ અને નોટો છાપવા માટે વપરાતું ખાસ લિક્વિડ મળી આવ્યું હતું. આ મકાન જ આખા રેકેટનું એપીસેન્ટર હોવાનું પુરાવાઓ પરથી સાબિત થયું છે. ટોયલેટ કરવાના બહાને ભાગેલો આરોપી ભરત કાકડીયા પણ પકડાયોજ્યારે પોલીસે અમરાઈવાડીમાં ફોર્ચ્યુનર કારને રોકી, ત્યારે આરોપી ભરત કાકડીયા લઘુશંકા કરવાના બહાને કારમાંથી ઉતરીને ભાગી છૂટ્યો હતો. તે સી.ટી.એમ. ચાર રસ્તા સુધી પહોંચી ગયો હતો. જોકે, ક્રાઈમ બ્રાન્ચના સતર્ક જવાનોએ પીછો કરીને તેને પણ ઝડપી પાડ્યો હતો. ભરત કાકડીયા સુરતમાં હીરા ઘસવાનું કામ કરે છે અને યોગ ફાઉન્ડેશનમાં સેવા આપવાના બહાને આ કાળા કારોબારમાં જોડાયો હતો. ડિજિટલ પુરાવા માટે 'ઇ-સાક્ષ્ય' એપ્લિકેશનનો ઉપયોગ કરાયોઆજના આધુનિક યુગમાં પુરાવાઓ મજબૂત કરવા માટે પોલીસે આ સમગ્ર ઓપરેશનની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી 'ઇ-સાક્ષ્ય' એપ્લિકેશન મારફતે કરી છે. આરોપીઓ પાસેથી મળેલા મોબાઈલ ફોન, એટીએમ કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સ જેવી તમામ ચીજવસ્તુઓની ડિજિટલ નોંધણી કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી કુલ 7 મોબાઈલ ફોન મળી આવ્યા છે, જેના કોલ ડિટેલ્સ રેકોર્ડ (CDR) પરથી વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે. સુરતથી અમદાવાદ સુધી ફેલાયેલું નેટવર્કપોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ટોળકીએ અગાઉ બજારમાં કેટલી નકલી નોટો વટાવી છે. પ્રાથમિક તપાસમાં પ્રદીપ અને મુકેશ આ રેકેટના સૂત્રધાર હોવાનું જણાય છે. તેઓ સુરતની આસપાસના વિસ્તારોમાં પણ નોટો સપ્લાય કરતા હતા કે કેમ તેની પૂછપરછ ચાલુ છે. જમીન દલાલી અને હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોની સંડોવણી હોવાથી આર્થિક વ્યવહારોની ઊંડી તપાસ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 11:39 am

જામજોધપુરમાં વીજળી પડતા માલધારીનું મૃત્યુ:કાલાવડમાં ખેડૂતના મકાન પર વીજળી ત્રાટકી, પરિવારનો આબાદ બચાવ

જામનગર જિલ્લામાં વાતાવરણના અચાનક પલટા વચ્ચે બે અલગ-અલગ ઘટનાઓ બની છે. કાલાવડ તાલુકાના શનાળા ગામે એક ખેડૂતના મકાન પર વીજળી ત્રાટકી હતી, જ્યારે જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામ નજીક વીજળી પડવાથી એક માલધારીનું કરુણ મૃત્યુ થયું હતું. કાલાવડ તાલુકાના શનાળા ગામે ખેડૂત જમનભાઈ સંઘાણી (પટેલ) ના મકાનની છત પર આકાશી વીજળી પડતા છતમાં મોટું ગાબડું પડ્યું હતું. વીજળીનો પ્રહાર એટલો પ્રચંડ હતો કે મકાનની છતને ભારે નુકસાન થયું હતું. સદનસીબે, વીજળી પડી તે સમયે રૂમમાં કે ઘરમાં પરિવારનો કોઈ સભ્ય હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી અને સમગ્ર પરિવારનો આબાદ બચાવ થયો હતો. બીજી ઘટનામાં, જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામ નજીક કમોસમી વરસાદ દરમિયાન વીજળી પડવાથી એક માલધારીનો ભોગ લેવાયો હતો. જૂની આંબરડી ગામના રહેવાસી અને માલધારી તરીકેનો વ્યવસાય કરતા ૫૨ વર્ષીય કાબાભાઈ માયાભાઈ વકાતર ગઈકાલે સાંજે છ વાગ્યાના અરસામાં ધ્રાફા ગામ નજીક પાણાખાણ વિસ્તારમાં ફુલઝર નદીના કાંઠે પોતાની ભેંસો ચરાવવા ગયા હતા. તે દરમિયાન અચાનક તેમના પર વરસાદી વીજળી પડતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ વિશાભાઈ ઉર્ફે જીણકાભાઈ માયાભાઈએ પોલીસને જાણ કરી હતી. શેઠવડાળા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.પી. જાડેજા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 11:38 am

સીટીએમ એક્સપ્રેસ હાઈવે નજીક BRTS ટ્રેકમાં ગંભીર અકસ્માત:મોપેડ ચાલકને બીઆરટીએસ બસ ચાલકે અડફેટે લેતા 50થી 60 ફૂટ ઢસડાયો

અમદાવાદના સીટીએમ એક્સપ્રેસ હાઈવે નજીક BRTS ટ્રેકમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. BRTS ટ્રેકમાં મોપેડ ચાલકને બીઆરટીએસ બસ ચાલકે અડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. ઇજાગ્રસ્ત મોપેડ ચાલક યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ટક્કર વાગતા ની સાથે જ મોપેડ ચાલક 50 થી 60 ફૂટ જેટલો ઢસડાયો હતો અને મોપેડનું આગળનું ટાયર પણ નીકળી ગયું હતું. ઘટનાની જાણ થતા આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 મારફતે યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને હાલ પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં બીઆરટીએસ ટ્રેકમાં મોપેડ ચાલક અને બસ વચ્ચે અકસ્માત, હેલ્મેટ પહેર્યા વગર ચલાવતા માથામાં ગંભીર ઇજા, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. જશોદાનગરથી CTM તરફ જતા બીઆરટીએસ ટ્રેક માં એક મોપેડ ચાલક પોતાનું મોપેડ લઈને જઈ રહ્યો હતો ત્યારે ટ્રેકમાં ચાલતી બીઆરટીએસ બસ સાથે ટક્કર થઈ હતી અકસ્માત એટલો ગંભીર હતો કે ટક્કર વાગ્યા બાદ 50 થી 60 ફૂટ મોપેડ ખસેડાયું હતું. યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માતના કારણે મોપેડનો આગળનો ભાગ પણ નીકળી ગયો હતો અને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. આ યુવક બીઆરટીએસ ટ્રેકના રોડ ઉપર પડેલો હતો જેથી આસપાસના સ્થાનિક રહીશો તાત્કાલિક દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. માથાના ભાગે યુવકને ગંભીર ઇજા થઈ હતી જેના કારણે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસને જાણ થતા તાત્કાલિક તેઓ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. શહેરમાં બીઆરટીએસ ટ્રેક માં વાહન ચલાવવા પર પ્રતિબંધ છે છતાં પણ કેટલાક વાહનચાલકો પોતાના વાહન બીઆરટીએસ માં ચલાવતા હોય છે. જેના કારણે બસની સાથે અકસ્માતની ઘટના બનતી હોય છે. પૂર્વ વિસ્તારના બીઆરટીએસ માં અનેક વાહન ચાલકો આ પ્રકારે પોતાના વાહનો ચલાવતા હોય છે જેના કારણે થઈને આવી અકસ્માતની ગંભીર ઘટના બને છે

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 11:22 am

કેશોદ પાસે દારૂ ભરેલી ઇનોવા પલટી, 3 બુટલેગર દબાઈ ગયાં:પોલીસનો પીછો જોઈ સ્પીડમાં ભગાવતા અકસ્માત, બે અંધારામાં ફરાર; ઈજાગ્રસ્તો સારવારમાં

જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચે કેશોદ પંથકમાં દારૂની હેરાફેરી કરતા બુટલેગરો પર લાલ આંખ કરી છે. મંગલપુર ફાટક પાસે પોલીસ દ્વારા કરવામાં આવેલા ફિલ્મી ઢબે પીછો દરમિયાન એક ઇનોવા કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માત બાદ કારમાંથી લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ઘટનામાં ત્રણ બુટલેગરો ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય બે શખસ પોલીસને હાથતાળી આપી નાસી છૂટવામાં સફળ રહ્યા છે.​ પોલીસને જોઈ બુટલેગરોએ કારની સ્પીડ વઘારીજૂનાગઢ એલસીબીને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે, એક સિલ્વર કલરની ઇનોવા કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને બુટલેગરો મંગલપુર ફાટકથી મઢડા ગામ તરફ જઈ રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી હતી. પોલીસને જોતા જ બુટલેગરોએ પોતાની ઇનોવા કાર (GJ 11 BR 9873) પૂરપાટ ઝડપે હંકારી મૂકી હતી. પોલીસે પણ તરત જ સરકારી વાહનો સાથે આ કારનો પીછો શરૂ કર્યો હતો. રસ્તા પર પકડાઈ જવાના ડરથી બુટલેગરોએ કાર પરનું નિયંત્રણ ગુમાવ્યું હતું અને ઇનોવા કાર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતને પગલે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. 3 આરોપી કારમાં દબાઈ ગયા, બે ફરાર ​અકસ્માત સર્જાતા જ કારમાં સવાર પાંચ શખસમાંથી બે અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યા હતા. જ્યારે અન્ય ત્રણ શખસ કારની અંદર જ ફસાઈ ગયા હતા અને તેમને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. પોલીસે તાત્કાલિક ધોરણે ઇજાગ્રસ્ત આરોપીઓ દુદા દેવરાજ કોડીયાતર, નયન ટપુ વંશ અને બાલુ દાના કોડીયાતરને કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા. બીજી તરફ, નાસી છૂટેલા આરોપીઓ પરેશ દાના કોડીયાતર અને કરસન કાના કોડીયાતરની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી છે. ત્રણેય આરોપી પોલીસના પહેરા હેઠળ સારવારમાં​પોલીસે પલટી મારેલી ઇનોવા કારની તલાશી લેતા તેમાંથી નાની-મોટી કુલ 975 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી. આ દારૂના જથ્થાની બજાર કિંમત અંદાજે 2,14,860 રૂપિયા જેટલી થાય છે. દારૂ ઉપરાંત પોલીસે ઘટનાસ્થળેથી ઇનોવા કાર અને બુટલેગરોના મોબાઈલ ફોન સહિત કુલ 12,34,860 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં પકડાયેલા ત્રણેય આરોપી પોલીસના પહેરા હેઠળ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને તેમની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 11:18 am

સાબરકાંઠાના પાંચ તાલુકામાં કમોસમી વરસાદ:કાપેલા ઘઉંમાં કાળી ડાઘી પડતા ખેડૂતોને નુકસાનની ભીતિ

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પાંચ તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. ગત રાત્રિએ આઠમાંથી પાંચ તાલુકામાં 1 થી 3 મિલીમીટર હળવો વરસાદ વરસ્યો હતો. આ વરસાદના કારણે ખેતરોમાં કાપણી કરીને રાખેલા ઘઉંના પાકમાં કાળી ડાઘી પડવાની શક્યતા સેવાઈ રહી છે, જેનાથી ખેડૂતોને નુકસાન થવાનો ભય છે. હવામાન વિભાગની આગાહી બાદ ગુરુવારે સવારથી જ જિલ્લામાં ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડી રહી હતી. મોડી સાંજ સુધી પવન ફૂંકાતો રહ્યો હતો. રાત્રિના સમયે વીજળીના ચમકારા સાથે પવન અને કમોસમી વરસાદ શરૂ થયો હતો. જોકે, વરસાદ હળવો અને ઓછા સમય માટે વરસ્યો હતો. આ કમોસમી વરસાદની અસર ખેતરોમાં કાપેલા ઘઉંના પૂળા પર થઈ છે. વરસાદને કારણે ઘઉંમાં કાળી ડાઘી પડી શકે છે, જેનાથી તેની ગુણવત્તામાં ઘટાડો થશે અને બજારમાં ઓછો ભાવ મળવાની શક્યતા છે. હિંમતપુરના ખેડૂત જયંતીભાઈ પટેલે જણાવ્યું હતું કે, તેમણે 10 વીઘામાં ઘઉંનું વાવેતર કર્યું હતું, જેમાંથી 7 થી 8 વીઘાના ઘઉંની કાપણી કરી લીધી હતી. બાકીના ઘઉં ખેતરમાં ઉભા હતા. પવનના કારણે ઉભા ઘઉં પડી ગયા અને કમોસમી વરસાદથી ભીના થયા છે, જેના કારણે ઘઉંમાં કાળી ડાઘી પડી જશે અને ભાવ ઓછો મળશે. આ અંગે સાબરકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારી ભાવેશભાઈ જોશીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, કમોસમી વરસાદથી ક્યાંય મોટા નુકસાનની જાણ નથી, પરંતુ આ વરસાદથી ઘઉંમાં કાળી ડાઘી પડી શકે છે, જેના પરિણામે ખેડૂતોને ઓછો ભાવ મળી શકે છે.જિલ્લાના આઠમાંથી પાંચ તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં હિંમતનગરમાં 1 મિલીમીટર, ઈડરમાં 2 મિલીમીટર, વડાલીમાં 3 મિલીમીટર, વિજયનગરમાં 2 મિલીમીટર અને ખેડબ્રહ્મામાં 3 મિલીમીટર વરસાદ પડ્યો હતો. જ્યારે પોશીના, પ્રાંતિજ અને તલોદ તાલુકામાં વરસાદ નોંધાયો નથી.સાબરકાંઠા જિલ્લામાં રવિ સિઝનમાં કુલ 1,75,481 હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર થયું છે, જેમાં ઘઉં, જુવાર, મકાઈ, તમાકુ, ચણા, રાઈ, જીરું, ધાણા, લસણ, વરિયાળી, ડુંગળી, બટાકા, શાકભાજી અને ઘાસચારાનો સમાવેશ થાય છે. ઘઉંનું વાવેતર 96,536 હેક્ટરમાં થયું છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 11:00 am

ગોધરામાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદ:વીજળીના કડાકા સાથે પડ્યો, ખેડૂતો ચિંતિત

પંચમહાલ જિલ્લાના ગોધરા અને આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા કમોસમી વરસાદ નોંધાયો છે. આ વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે, પરંતુ ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ચિંતા વ્યાપી છે. દિવસભર અસહ્ય ગરમી બાદ મોડી રાત્રે વાતાવરણ બદલાયું હતું. આકાશમાં કાળા વાદળો છવાયા હતા અને ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા થયા હતા. ગોધરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે રસ્તાઓ ભીના થયા હતા. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જેણે લોકોને ગરમીથી મોટી રાહત આપી હતી. જોકે, ભર ઉનાળે પડેલા આ કમોસમી વરસાદથી તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 10:48 am

મહેસાણાના લીંચમાં ધોળા દિવસે લૂંટ:આઈસ્ક્રીમ લેવાના બહાને વેપારીના ગળામાંથી 6 તોલાની સોનાની ચેઈન ઝુંટવી બે ગઠિયા ફરાર

મહેસાણા જિલ્લાના લીંચ ગામમાં તસ્કરોએ હવે ધોળા દિવસે વેપારીઓને નિશાન બનાવવાનું શરૂ કરતા ફફડાટ વ્યાપી ગયો છે. ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલ 'શિવ પાર્લર'માં આઈસ્ક્રીમ લેવાના બહાને આવેલા બે અજાણ્યા બાઈક સવારો વેપારીના ગળામાંથી આશરે રૂ 3.90 લાખની કિંમતની સોનાની બે ચેઈન તોડી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. આ મામલે લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ફરિયાદી બસ સ્ટેશન પાસે પાર્લર ચવાલે છેલીંચ ગામના તોતરમાતાના મંદિર પાસે રહેતા 52 વર્ષીય ભરતજી રામસંગજી ઠાકોર ગામના બસ સ્ટેન્ડ પાસે ‘શિવ પાર્લર’ ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. ગત સાંજે આશરે સાડા છ વાગ્યાના સુમારે એક બાઈક પર બે અજાણ્યા શખ્સો તેમની દુકાને આવ્યા હતા. જેમાં બાઈક ચલાવનાર શખ્સે કાળા રંગનું ટી-શર્ટ અને હેલ્મેટ પહેર્યું હતું. જ્યારે પાછળ બેઠેલા સફેદ શર્ટધારી શખ્સે પ્રથમ ગુટખા અને વેફર ખરીદી વેપારીનો વિશ્વાસ કેળવ્યો હતો. બે ચેઈન તોડી ગઠિયાઓ ફરારત્યારબાદ સાતેક વાગ્યાના સુમારે આ ગઠિયાએ આઈસ્ક્રીમ માંગતા ભરતજી દુકાનના આગળના ભાગે મુકેલ ફ્રિજ ખોલવા માટે નીચે નમ્યા હતા. વેપારી જેવો નીચે નમ્યો કે તુરંત જ તકનો લાભ ઉઠાવી ગઠિયાએ તેમના ગળામાં પહેરેલી સાડા ત્રણ તોલાની સોનાની ચેઈન કિંમત રૂ 2,28,000 અને અઢી તોલાની બીજી સોનાની ચેઈન કિંમત રૂ 1,62,500 મળી કુલ 6 તોલાના દાગીના ઝુંટવી લીધા હતા. વેપારી કઈ સમજે તે પહેલા જ બંને લૂંટારુઓ બાઈક પર સવાર થઈ પલાયન થઈ ગયા હતા. પોલીસે સીસીટીવી તપાસી શોધખોળ શરૂ કરીભરતજીએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો અને અન્ય વેપારીઓ એકઠા થઈ ગયા હતા, પરંતુ લૂંટારુઓ હાથ લાગ્યા નહોતા. આ અંગે લાંઘણજ પોલીસને જાણ કરાતા પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ તપાસી આરોપીઓને પકડવા માટે કવાયત તેજ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 10:47 am

અરવલ્લીના જંગલોમાં ભીષણ આગ: વનરાજી બળીને ખાખ:આગ લાગવાનું કારણ અકબંધ; વન વિભાગ કાબૂમાં લેવા પ્રયાસરત

અરવલ્લી જિલ્લાના શામળાજી અને માલપુર તાલુકાના જંગલોમાં ભીષણ આગ લાગી છે. શામળાજીના રૂદરડી અને માલપુરના લોઢિયાના પહાડિયા ગામ નજીકના ડુંગરો પર લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આ ઘટના આજે રાત્રે સામે આવી હતી. આ આગને કારણે જંગલની વનરાજી બળીને ખાખ થઈ ગઈ છે. જોકે, આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. ઉનાળાની શરૂઆત થતાં જ ડુંગરો પર દવ લાગવાની ઘટનાઓ સામાન્ય બની જાય છે. વન વિભાગના કર્મચારીઓએ આગને કાબૂમાં લેવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. આગને વધુ ફેલાતી અટકાવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 10:45 am

દારૂની હવે ટ્રાન્સપોર્ટથી હેરફેર:રાજસ્થાનથી કાપડનું બિલ બનાવી દારૂનો જથ્થો ટ્રાન્સપોર્ટમાં અમદાવાદ મોકલ્યો, પોર્ટર મારફતે કુબેરનગર આવતા પોલીસે ઝડપી લીધો

રાજ્યમાં દારૂબંધી વચ્ચે બુટલેગરો હવે અન્ય રાજ્યમાંથી દારૂ જાતે લેવા જવાની જગ્યાએ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને દારૂ મંગાવી રહ્યા છે. સરદારનગર પોલીસે માલસામાન હેરફેર કરતી કંપની પોર્ટર મારફતે લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજસ્થાનથી કપડાના માલનું બિલ બનાવીને ટ્રાન્સપોર્ટમાં માલ નારોલ ખાતે મોકલવામાં આવ્યો હતો જ્યાંથી પોર્ટર મારફતે સરદારનગર વિસ્તારમાં દારૂ મંગાવ્યો હતો. પોલીસે પોર્ટરમાં લઈ જવાતા વાહનમાં તપાસ કરતા દારૂ મળી આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે દારૂ મંગાવનાર અને મોકલનાર સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. દારૂને પોર્ટર કરાવ્યોઅમદાવાદનું સરદારનગર વિદેશી અને દેશી દારૂનું હબ ગણવામાં આવે છે જ્યાં સૌથી વધારે દારૂનું વેચાણ થતું હોય છે ત્યારે હવે બુટલેગરો પોતાનો દારૂ ટ્રાન્સપોર્ટ મારફતે કોઈ ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં મંગાવે છે અને ત્યાંથી માલ સામાન હેરફેર કરતા વાહનોમાં મંગાવી લે છે જેના કારણે પોલીસના ધ્યાન ઉપર જલ્દી આવતું નથી. જોકે સરદારનગર પોલીસે પોર્ટર મારફતે મંગાવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પીઆઇ એસ.એ ગોહિલને બાતમી મળી હતી કે પોર્ટર મારફતે ટેમ્પામાં વિદેશી દારૂનો જથ્થો કુબેરનગર ખાતે લાવવામાં આવી રહ્યો છે. જેના આધારે બાતમીવાળા ટેમ્પોને મહાવીર કસરત શાળા પાસે રોકવામાં આવ્યો હતો. ડ્રાઇવરનું નામ પૂછતા તેનું નામ ભગવતીપ્રસાદ ભાવસાર હોવાનું જણાવ્યું હતું અને પોતે પોર્ટરમાં ટેમ્પો ચલાવતા હોવાનું જણાવ્યું હતું. ટેમ્પોમાં 20 બોક્સ મળ્યાપોલીસે ટેમ્પો ખોલીને જોતા તેમાં પાંચ જેટલા મોટા પાર્સલ મળી આવ્યા હતા. 20 જેટલા બોક્સ મળી આવ્યા હતા. જે તમામ બોક્સ ખોલીને જોતા તેમાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. દારૂની બોટલો હોવાને લઈને પોલીસ દ્વારા ડ્રાઇવરની પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે ટેમ્પો છેલ્લા ત્રણ વર્ષથી પોર્ટરમા ચલાવે છે. પોતે ટેમ્પો લઇ પોર્ટરના કામથી નીકળેલ હતા. નારોલ ગામમાં ટેમ્પો લઇ જતા હતા તે દરમિયાન પોર્ટર એપ્લીકેશન ઉપર એક ઓર્ડર દેવડીવાલા કંમ્પાઉન્ડ નારોલ ગામ ખાતેથી પાર્સલ લઇ સી વોર્ડ કુબેરનગરના ઓર્ડરને એપ્લીકેશનમાં એકસેપ્ટ કર્યો હતો. કપડાના માલનું બિલ આપ્યુંકે.બી.લોજીસ્ટીક ટ્રાન્સપોર્ટમાંથી પાર્સલ લેવાના હોય જેથી ટ્રાન્સપોર્ટ ઓફિસમાં હાજર વ્યક્તિએ બે પાવતી તથા દર્શના ફેશન જયપુર રાજસ્થાન અને જયપુરી પ્રિન્ટ કલોથનું બિલ આપ્યું હતું અને પાર્સલ ટેમ્પામાં ભરી દેતા તેઓ નીકળ્યા હતા. ઓર્ડર બુક કરાવનાર વ્યક્તિના મોબાઈલ ફોન પર વાત કરતા તેમણે કહ્યું હતું કે તમે લોકેશન ઉપર હાજર રહો ત્યાં લોકેશન પર પ્રદીપ રામચંદાણી સફેદ કલરનુ બર્ગમેન મોપેડ પર આવી પાર્સલ લઇ જશે. જે ટેમ્પો લઈને ઊભા હતા અને દરમિયાનમાં પોલીસે તેમના આ ટેમ્પામાં તપાસ દારૂ મળી આવ્યો હતો. પોલીસે માલ જપ્ત કરી ટેમ્પો ચાલકને જવા દીધોટેમ્પાના ડ્રાઇવર આ મુદ્દામાલ વિશે કંઈ જાણતા ન હોવાના કારણે તેમને પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરીને ટેમ્પા સાથે જવા દીધા હતા. વિદેશી દારૂનો જથ્થો ટ્રાન્સપોર્ટમાં મંગાવીને ત્યારબાદ પોર્ટર મારફતે કુબેરનગર વિસ્તારમાં મંગાવ્યો હતો. પોલીસે કુલ 960 જેટલી બોટલો જપ્ત કરી દારૂ મંગાવનાર અને મોકલનાર બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 10:42 am

છોટા ઉદેપુરમાં ભારે પવનથી ભાજપ પ્રમુખના કાર્યક્રમનો ડોમ ઉડ્યો:મોડી સાંજે વરસાદ સાથે વાતાવરણમાં પલટો, વીજળી ગુલ

છોટા ઉદેપુર જિલ્લામાં મોડી સાંજે ભારે પવન અને વરસાદને કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો. આ વાવાઝોડામાં ભાજપના પ્રદેશ પ્રમુખના આગામી કાર્યક્રમ માટે તૈયાર કરાયેલો ડોમ ધરાશાયી થઈ ગયો હતો. જિલ્લાના પાવીજેતપુર, બોડેલી, કવાંટ અને નસવાડી જેવા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયા બાદ ઝરમર વરસાદ વરસ્યો હતો. જ્યારે સંખેડા, બહાદરપુર અને છોટા ઉદેપુર ખાતે ભારે વાવાઝોડું અને ત્યારબાદ ધોધમાર વરસાદ નોંધાયો હતો. આવતીકાલે સવારે 9 વાગ્યે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા છોટા ઉદેપુરની મુલાકાત લેવાના છે. તેમના કાર્યક્રમ માટે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે એક મોટો ડોમ ઊભો કરવામાં આવ્યો હતો, જે ભારે વાવાઝોડામાં તૂટી પડ્યો હતો. ભારે પવન ફૂંકાવાને કારણે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી, જેના પગલે સ્થાનિક જનતાને અંધારાનો સામનો કરવો પડ્યો હતો.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 10:41 am

ગોધરા મહુલીયા ચોકડી પાસે ઈકો-બાઈક અકસ્માત:એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત, હોસ્પિટલમાં દાખલ

ગોધરાના મહુલીયા ચોકડી પાસે આજે એક ઈકો કાર અને મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગોધરા તાલુકાના આંગડિયા ગામના રહેવાસી અલ્પેશભાઈ મોહનભાઈ શાકભાજી લેવા મહુલીયા ગામે ગયા હતા. શાકભાજી લઈને તેઓ પોતાની બાઈક પરત ઘરે જઈ રહ્યા હતા. તે સમયે મહુલીયા ચોકડી પાસે સામેથી આવી રહેલી એક ઈકો કાર સાથે તેમની બાઈક અથડાઈ હતી. આ અકસ્માતમાં અલ્પેશભાઈને મોઢા અને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 10:32 am

ગાંધીનગરમાં પાલતુ શ્વાનના રજિસ્ટ્રેશનની મુદત લંબાવાઈ:15 એપ્રિલ સુધી નોંધણી કરી શકાશે, અત્યાર સુધીમાં 527 ડોગની નોંધણી

ગાંધીનગર શહેરમાં વસતા પાલતુ શ્વાન પ્રેમીઓ અને માલિકો માટે મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અને પશુઓના વ્યવસ્થિત સંચાલન માટે શરૂ કરવામાં આવેલી પેટ ડોગ રજિસ્ટ્રેશન પ્રક્રિયાની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. હવે શહેરના નાગરિકો આગામી 15 એપ્રિલ, 2026 સુધી પોતાના પાલતુ શ્વાનનું સત્તાવાર રજિસ્ટ્રેશન કરાવી શકશે. હજુ પણ અનેક માલિકોના રજિસ્ટ્રેશન બાકીગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પાલતુ શ્વાનના રજિસ્ટ્રેશનની મુદત 15 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે. અગાઉ મહાનગરપાલિકા દ્વારા આ પ્રક્રિયા માટે 90 દિવસની મુદત નક્કી કરવામાં આવી હતી. આ અગાઉનો નિર્ધારિત સમયગાળો 15 ડિસેમ્બર, 2025થી શરૂ થઈને 16 માર્ચ, 2026 સુધીનો હતો. જોકે, હજુ પણ અનેક માલિકો રજિસ્ટ્રેશનથી વંચિત હોવાનું જણાતા અને લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને તંત્રએ આ મુદ્દત લંબાવવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધીના આંકડાઓ મુજબ ગાંધીનગરના જાગૃત નાગરિકોએ આ ઝુંબેશમાં સારો પ્રતિસાદ આપ્યો છે અને 527થી વધુ લોકોએ પોતાના પાલતુ શ્વાનનું સફળતાપૂર્વક રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. ફોર્મ ફરજિયાત જમા કરવાનું રહેશેઆ અંગે મનપા સૂત્રોએ જણાવ્યું કે, અરજદારો ઓનલાઈન માધ્યમથી ફોર્મ ડાઉનલોડ કરી શકશે, જેનાથી પ્રક્રિયામાં સરળતા રહેશે. જોકે, ફોર્મ ભર્યા બાદ અરજદારે પોતે રૂબરૂ મહાનગરપાલિકાની કચેરી ખાતે જઈને જરૂરી દસ્તાવેજો સાથે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ પ્રક્રિયા માટે કેટલાક મહત્વના પુરાવાઓ ફરજિયાત કરવામાં આવ્યા છે. વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવવા લોકોને અપીલજે અન્વયે અરજદારનું લેટેસ્ટ ટેક્સ બિલ, કોઈપણ એક સરકારી ઓળખપત્ર, લાઈટ બિલ અથવા ગેસ બિલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શ્વાનની સુરક્ષા અને જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને માન્ય વેટેનરી ડોક્ટર દ્વારા આપવામાં આવેલું એન્ટીરેબીઝ વેક્સિનનું સર્ટિફિકેટ રજૂ કરવું અનિવાર્ય છે. ડોક્યુમેન્ટેશનમાં પાલતુ શ્વાનનો ફોટો, માલિકનો ફોટો તેમજ શ્વાનને રાખવાની જગ્યાનો ફોટો પણ સાથે રાખવો પડશે. મહાનગરપાલિકાએ તમામ શ્વાન માલિકોને અપીલ કરી છે કે, આ વધારાની મુદતનો લાભ લઈ વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવી લેવું, જેથી ભવિષ્યમાં કોઈ કાયદાકીય મુશ્કેલી ન સર્જાય.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 10:29 am

માંજલપુરમાં સાંઈ અને જલારામ મંદિરમાં ચોરી:તસ્કરો તાળુ તોડી દાન પેટી ઉઠાવી ગયા, પોલીસ સામે પડકાર

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં બે મંદિરમાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. અહીંયા આવેલા સાંઈ મંદિરમાં ચોરીની ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે. તસ્કરે મંદિરનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો અને દાન પેટીમાં રહેલા રૂપિયા 1,50,000ની રકમ ઉઠાવી ફરાર થઈ જતા આ મામલે ફરિયાદ નોધવામાં આવી છે. આ સાથે આજ દિવસે જલારામ મંદિરમાં પણ ચોરીની ઘટના સામે આવી છે. બંને ચોરીની ઘટનાઓમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બે મંદિરમાં ચોરીઆ ચોરીની ઘટના અંગે મંદિરના પ્રમુખ આનંદભાઈ ભગવાનદાસ સોનવણેએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, માંજલપુર વિસ્તારમાં આવેલા જ્યુપીટર ચાર રસ્તા સુસેન પાસે સાઈ મંદિર આવેલું છે. તેઓ છેલ્લા 22 વર્ષથી આ મંદિરના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. મંદિરમાં સ્ટેનલેસ સ્ટીલની દાન પેટી રાખવામાં આવી હતી. દર મહિને આ પેટી ખોલીને રકમ બેંકમાં જમા કરાવવામાં આવે છે. તસ્કર દાનપેટી ઉઠાવી ગયા હતાગત 13 માર્ચના રોજ મંદિરના મહારાજ નૈનેશભાઈ દત્તાત્રેયભાઈ ત્રિવેદીએ મંદિરનો દરવાજો બંધ કરીને ઘરે જતા રહ્યા હતા. બીજે દિવસે સવારે 6 વાગ્યે મહારાજ મંદિરે પહોંચ્યા ત્યારે દરવાજાનું તાળું તોડેલું જોવા મળ્યું હતું. તેમણે તરત આનંદભાઈને ફોન કર્યો હતો. આનંદભાઈ તાત્કાલિક સ્થળે પહોંચ્યા અને જોયું કે ચોરે તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને દાન પેટી ચોરીને ભાગી ગયો હતો. પેટીમાં રાખેલી આશરે રૂ.1.50 લાખની રોકડ રકમ ગુમ થઈ ગઈ હતી. આ મામલે માંજલપુર પોલીસે ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બંને બનાવમાં એક જ ટોળકી હોવાનું અનુમાનઆ સાથે માંજલપુર સ્મશાન પાસે આવેલા જલારામ મંદિરમાં આજ દિવસે ચોરીની ઘટના સામે આવી હતી. જેમાં પણ દાનપેટી ચોરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ બંને બનાવમાં એકજ ટોળકી હોય તેવું હાલમાં સામે આવ્યું છે અને પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 10:28 am

વલસાડમાં શૂટિંગ દરમિયાન અમેરિકન મહિલા પ્રોડ્યુસરની છેડતી:‘હાઉ ટુ ફીડ અ સોલ’ ફિલ્મના ડિરેક્ટર સહિત 3 સામે ગુનો; માટુંગા પોલીસે કેસ વલસાડ સિટી પોલીસને ટ્રાન્સફર કર્યો

વલસાડના તિથલ રોડ પર આવેલી એક હોટલમાં ફિલ્મ શૂટિંગ દરમિયાન અમેરિકન નાગરિકતા ધરાવતી એક મહિલા એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર સાથે છેડતીનો બનાવ બન્યો છે. આ મામલે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફિલ્મના અભિનેતા સાહિલ ગોયલ, ડિરેક્ટર મૃગેશ ઠાકોર અને પાર્થ રાવત વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. ફરિયાદી મહિલા (ઉંમર 39), જે ફિલ્મ ઉદ્યોગમાં કાસ્ટિંગ ડિરેક્ટર અને પ્રોડ્યુસર તરીકે કાર્યરત છે, તેમણે જણાવ્યું કે માર્ચ 2025માં ઇન્સ્ટાગ્રામ દ્વારા તેમની મુલાકાત મૃગેશ ઠાકોર સાથે થઈ હતી. મૃગેશની આગામી ફિલ્મ ‘How to Feed A Soul’ માટે તેમને એસોસિયેટ પ્રોડ્યુસર અને આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.આ ફિલ્મનું શૂટિંગ વલસાડના સી સેન્ડ એપાર્ટમેન્ટ્સમાં ચાલી રહ્યું હતું. શૂટિંગમાં સામેલ તમામ કલાકારો અને ક્રૂ મેમ્બર્સ તિથલ રોડ સ્થિત શ્રીલેખા હોટલમાં રોકાયા હતા.5 ડિસેમ્બર 2025ના રોજ શૂટિંગ પૂર્ણ થયા બાદ પરત ફરતી વખતે મહિલા પ્રોડ્યુસર તેમના કિંમતી ચશ્મા કારમાં ભૂલી ગયા હતા. જ્યારે તેઓ ચશ્મા લેવા માટે કાર પાસે ગયા, ત્યારે કારમાં હાજર અભિનેતા સાહિલ ગોયલે તેમની સાથે અભદ્ર વર્તન કર્યું અને શારીરિક છેડતી કરી હતી.મહિલાએ આ ઘટના અંગે ડિરેક્ટર મૃગેશ ઠાકોર અને પાર્થ રાવતને ફરિયાદ કરી, ત્યારે તેમણે મદદ કરવાને બદલે સાહિલનો પક્ષ લીધો હતો. ફરિયાદમાં ઉલ્લેખ છે કે પાર્થ રાવતે મહિલાને ધમકાવતા કહ્યું હતું કે, “શું તને ખબર છે એસોલ્ટ (હુમલો) કોને કહેવાય?” આ ઉપરાંત, આરોપી સાહિલે વોટ્સએપ પર અત્યંત અશ્લીલ મેસેજ મોકલી મહિલાનું અપમાન કર્યું હતું.પીડિત મહિલાએ શરૂઆતમાં મુંબઈના માટુંગા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટના વલસાડની હોવાથી માટુંગા પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ નોંધીને કેસ વલસાડ સિટી પોલીસને ટ્રાન્સફર કર્યો છે. વલસાડ પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ 131, 3(5), 48, 74, 75(1), 79 હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ કેસમાં આરોપી તરીકે અભિનેતા સાહિલ ગોયલ, ડિરેક્ટર/લેખક મૃગેશ ઠાકોર અને સહાયક ડિરેક્ટર પાર્થ રાવતના નામનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 10:26 am

ઐતિહાસિક કડાકા બાદ વાયદા બજારમાં ફરી તેજી! સોનામાં 3350 તો ચાંદીમાં 8540નો ઉછાળો

Gold Price Today: સપ્તાહની શરૂઆતમાં સોનાના ભાવમાં આવેલા મોટા કડાકા બાદ શુક્રવારે બજારમાં જોરદાર રિકવરી જોવા મળી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર સોનાના ભાવમાં સવારના કારોબારમાં જ 2%થી વધુનો ઉછાળો નોંધાયો હતો, જેનાથી રોકાણકારોને મોટી રાહત મળી છે. જોકે, બજારમાં હજુ પણ ભારે અસ્થિરતાનો માહોલ છે અને આગળની દિશા અંગે અનિશ્ચિતતા યથાવત છે. સોનામાં ₹3350 અને ચાંદીમાં ₹8540નો તોતિંગ ઉછાળો શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.

ગુજરાત સમાચાર 20 Mar 2026 10:05 am

નારણપુરામાં માતૃશક્તિ દ્વારા રામોત્સવની ઉજવણી:કુટુંબ પ્રબોધન અને સામાજિક સમરસતા પર વક્તવ્ય અપાયું

કર્ણાવતી મહાનગરના નારણપુરા પ્રખંડમાં માતૃશક્તિ દ્વારા રામોત્સવ કાર્યક્રમની સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ ઉત્સવ ભાગવત વિભાગ અંતર્ગત આયોજિત કરાયો હતો. આ ઉત્સવનું સંકલન ભાગવત વિભાગ માતૃશક્તિ સંયોજિકા રંજનબેને કર્યું હતું. નારણપુરા જિલ્લા સહયોજિકા હેતલબેન પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યક્રમમાં નારણપુરા જિલ્લાના સહ-સંયોજિકા અને નિવૃત્ત શિક્ષક ભાવનાબેને વક્તા તરીકે સંબોધન કર્યું હતું. તેમણે ભગવાન રામના જીવનમાં કુટુંબ પ્રબોધન અને સામાજિક સમરસતાના વિષયો કેવી રીતે વણાયેલા છે તે વિશે વિસ્તૃત માહિતી આપી. આ ઉત્સવ ભાગવત વિભાગના નારણપુર અને વાડજ પ્રખંડની માતૃશક્તિના સહિયારા પ્રયાસોથી સફળ રહ્યો. કાર્યક્રમના અંતે થાળ આરતી કરીને તેની પૂર્ણાહુતિ કરવામાં આવી. કુલ ૩૧ માતૃશક્તિ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 10:04 am

ધ્રુવી કામધારે સિવિલ જજની પરીક્ષામાં સફળતા મેળવી.:રાજ્યભરના 103 ઉમેદવારોમાં 35મો રેન્ક પ્રાપ્ત કર્યો

વલ્લભ વિદ્યાનગર સ્થિત આર.એન. પટેલ ઇપ્કોવાલા સ્કૂલ ઓફ લૉ એન્ડ જસ્ટિસના પૂર્વ વિદ્યાર્થી ધ્રુવી કામધારે સિવિલ જજની પરીક્ષામાં સફળતા મેળવી છે. તેમણે રાજ્ય સ્તરે લેવાયેલી આ સ્પર્ધાત્મક પરીક્ષામાં કુલ 103 સફળ ઉમેદવારોમાંથી 35મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. ધ્રુવી કામધાર બીબીએ એલએલબી (હોન્સ.) 2019–20 બેચના વિદ્યાર્થી છે. તેમની આ સિદ્ધિ કાનૂની ક્ષેત્રમાં તેમની કારકિર્દી માટે મહત્વપૂર્ણ છે. આ પ્રસંગે સંસ્થાના પ્રિન્સિપાલ ડૉ. નિષા નાયરએ ધ્રુવીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે, ધ્રુવીની સફળતા સંસ્થામાં અપાતા શિક્ષણની ગુણવત્તા દર્શાવે છે. તેમની આ સિદ્ધિ વર્તમાન વિદ્યાર્થીઓ અને કાનૂની ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે પ્રેરણાદાયક બની રહેશે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 9:56 am

ILSASS વિદ્યાર્થીની દિવ્યાંકી હાડિયાની જિલ્લા ક્રિકેટ ટીમમાં પસંદગી:ગુજરાત ક્રિકેટ એસોસિએશનની સિનિયર વુમન્સ ટૂર્નામેન્ટમાં આણંદનું પ્રતિનિધિત્વ કરશે

વલ્લભ વિદ્યાનગરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેંગ્વેજ સ્ટડીઝ એન્ડ એપ્લાઇડ સોશિયલ સાયન્સિસ (ILSASS) ની વિદ્યાર્થીની દિવ્યાંકી હાડિયાની સિનિયર વુમન્સ આણંદ જિલ્લા ક્રિકેટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. તે ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) દ્વારા આયોજિત સિનિયર વુમન્સ ટૂર્નામેન્ટમાં આણંદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. દિવ્યાંકી હાડિયા એમ.એ. ક્લિનિકલ સાયકોલોજીમાં અભ્યાસ કરી રહી છે. આ મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ આગામી 11 એપ્રિલથી 18 એપ્રિલ 2026 દરમિયાન ભરૂચ ખાતે યોજાશે. આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રિન્સિપાલ ડૉ. અર્ચના સી. નરહારીએ દિવ્યાંકીને અભિનંદન પાઠવ્યા હતા. સંસ્થાની સ્પોર્ટ્સ કમિટી અને સમગ્ર પરિવારે તેને આગામી મેચોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે શુભકામનાઓ પાઠવી છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 9:55 am

વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ:જોરાવરનગર સ્થિત સવા આયુષ હોસ્પિટલ ખાતે 22 માર્ચના દિવસે આયોજન કરાયું

સુરેન્દ્રનગરના જોરાવરનગર સ્થિત સવા આયુષ હોસ્પિટલ ખાતે 22 માર્ચ, રવિવારે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું છે. આ પ્રસંગે નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયાનું સન્માન પણ કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલના નવા આધુનિક વિભાગોનું પણ ઉદ્ઘાટન થશે. ગુજરાત સરકારના નાયબ દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા, વઢવાણ તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ વસેવલીયા અને સુરેન્દ્રનગર-વઢવાણ શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલના હસ્તે આ વિભાગો ખુલ્લા મુકાશે. ઉદ્ઘાટન થનારા આધુનિક વિભાગોમાં રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ વિભાગ, લેઝર દ્વારા પથરીની સર્જરી (RIRS) વિભાગ અને એન્ડોસ્કોપિક સ્પાઈન સર્જરી વિભાગનો સમાવેશ થાય છે. આ વિભાગોમાં રોબોટ દ્વારા જોઈન્ટ સર્જરી, લેઝર ટેકનોલોજીથી પથરીની સારવાર અને દૂરબીન દ્વારા ઓછા વાઢકાપ સાથે સ્પાઇન સર્જરી જેવી સુવિધાઓ ઉપલબ્ધ બનશે. કેમ્પમાં ન્યુરોસર્જરી, યુરોલોજી, મેડિસિન, જનરલ સર્જરી, પીડિયાટ્રિક, ENT, ઓર્થોપેડિક, ગાયનેક અને આંખના વિભાગોમાં નિષ્ણાત ડોકટરો સેવા આપશે. દર્દીઓને ડોક્ટરની સલાહ, જરૂરી તપાસ અને લેબોરેટરી ટેસ્ટ સહિતની તબીબી સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. કેમ્પ દરમિયાન, પ્રથમ 50 દર્દીઓ માટે મોતીયાના ઓપરેશન નિઃશુલ્ક કરાશે. સવા આયુષ હોસ્પિટલ ઝાલાવાડ વિસ્તારની સૌપ્રથમ અને એકમાત્ર NABH માન્યતા પ્રાપ્ત હોસ્પિટલ છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 9:24 am

દાહોદમાં આંખના રોગોની સચોટ સારવાર માટે ‘દ્રષ્ટિ નેત્રયજ્ઞ’નો પ્રારંભ:દ્રષ્ટિ નેત્રાલય ખાતે આ મહા-અભિયાનમાં નિ:શુલ્ક નેત્રમણી બેસાડાશે

દાહોદ શહેર અને સમગ્ર જિલ્લાના જરૂરિયાતમંદ નાગરિકો માટે આજનો દિવસ આશાનું નવું કિરણ લઈને આવ્યો છે. અંધાપા નિવારણના મિશન સાથે કાર્યરત 'દ્રષ્ટિ નેત્રાલય' દ્વારા આજથી એટલે કે તારીખ 20-03-2026 થી એક મહિના સુધી ચાલનારા ભવ્ય 'મોતિયા મફત ઓપરેશન અને નિદાન કેમ્પ'નો વિધિવત પ્રારંભ થઈ રહ્યો છે. આ નેત્રયજ્ઞ આગામી 20-04-2026 સુધી અવિરત ચાલશે, જેમાં છેવાડાના માનવીને પણ આધુનિક ટેકનોલોજીથી આંખની સારવાર પૂરી પાડવામાં આવશે. રોજ સવારે 8:00 વાગ્યાથી નોંધણી શરૂ થશે દાહોદના ચાકલીયા રોડ પર GIDC પાસે આવેલી દ્રષ્ટિ નેત્રાલય હોસ્પિટલ ખાતે આજથી દર્દીઓનો ધમધમાટ જોવા મળશે. કેમ્પ દરમિયાન દરરોજ સવારના 8:00 થી બપોરના 1:00 વાગ્યા સુધી નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવશે. આ કેમ્પમાં માત્ર સામાન્ય મોતિયા જ નહીં, પરંતુ ઝામર, ત્રાંસી આંખ, પડદાની તકલીફો અને બાળકોમાં જોવા મળતા જટિલ બાળ મોતિયાનું પણ નિદાન કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. સંપૂર્ણ સુવિધા: રહેવા-જમવાથી લઈ દવાઓ સુધી બધું જ મફત હોસ્પિટલના પ્રબંધક ડાયરેક્ટર ડો. શ્રેયાબેન શાહના જણાવ્યા અનુસાર, આ કેમ્પનો હેતુ કોઈ પણ વ્યક્તિ પૈસાના અભાવે દ્રષ્ટિ વિહોણી ન રહે તેવો છે. જે દર્દીઓને ઓપરેશનની જરૂર જણાશે, તેમને અત્યંત આધુનિક અને અધતન સગવડોથી સજ્જ દ્રષ્ટિ નેત્રાલય ખાતે દાખલ કરવામાં આવશે. ઓપરેશન બાદ દર્દીઓને ઉચ્ચ ગુણવત્તાના નેત્રમણી (Lens) બેસાડવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન દર્દીના રહેવા, જમવા અને દવાનો તમામ ખર્ચ હોસ્પિટલ દ્વારા ભોગવવામાં આવશે. દર્દીઓએ કયા દસ્તાવેજો લાવવા? આ સેવાનો લાભ લેવા આવનાર દરેક દર્દીએ પોતાની સાથે આધાર કાર્ડ અને રેશન કાર્ડની ઝેરોક્ષ નકલ લાવવી અનિવાર્ય છે. વહીવટી સરળતા અને દર્દીની સારસંભાળ માટે દરેક દર્દીની સાથે એક સગાનું હોવું ફરજિયાત રાખવામાં આવ્યું છે. ​ડો. શ્રેયાબેન શાહએ વધુમાં ઉમેર્યું હતું કે, અમારો લક્ષ્યાંક દાહોદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના છેવાડાના માણસ સુધી પહોંચવાનો છે. આજથી શરૂ થઈ રહેલા આ કેમ્પમાં લોકો સ્વયંભૂ જોડાઈને અંધાપા મુક્ત સમાજના નિર્માણમાં સહભાગી બને તે જરૂરી છે. આ આયોજનથી પછાત અને આદિવાસી વિસ્તારોના ગરીબ પરિવારોમાં વ્યાપક ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 9:17 am

દાન આપવાના નામે બે ગઠિયા કળા કરી ગયા:વૃદ્ધાને વાતોમાં ભોળવી હાથમાં રહેલી સોનાની બંગડી ઉતરાવી, ધ્યાન ભટકાવી બેગ લઈ ફરાર

વડોદરા શહેરના સમીયાલા વિસ્તારની 65 વર્ષીય ધનુબેન રાઇસિંગભાઇ ઓઢ (રહે. સમીયાલા બસ સ્ટેશનવાળું ફળિયું, તા. જિ. વડોદરા)ને બે અજાણ્યા ગઠિયાઓ દાનની લાલચ આપીને છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના દરમિયાન તેમની પાસેથી આશરે 2 લાખ 85 હજાર રૂપિયાની કિંમતની બે સોનાની બંગડીઓ ચોરી થતા વાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વૃદ્ધા જમાઈ સાથે ખરીદી કરવા ગયા હતાંઆ બનાવમાં વૃદ્ધા ધનુબેન એક છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે. ગતરોજ બપોરના સમયે ધનુબેન તેમના જમાઈની એક્ટિવા પર મગળબજાર પદમાવતી શોપિંગ સેન્ટર ખાતે કટલરીનો સામાન ખરીદવા ગયા હતા. જમાઈએ તેમને ઉતારીને પરત જતા રહ્યા હતા. સામાન ખરીદી વૃદ્ધા પરત ફર્યા હતા. ગઠિયાઓએ વૃદ્ધાને દાન આપવાનું કહી ભોળવ્યાંવૃદ્ધા પરત આવી લહેરીપુરા ગેટ પાસે ચોકમાં ઊભા હતા, ત્યારે બે અજાણ્યા વ્યક્તિ તેમની પાસે આવ્યા અને પૂછ્યું કે, તમે ક્યાં રહો છો? ધનુબેને સમીયાલા રહેતી હોવાનું જણાવતાં એક વ્યક્તિએ કહ્યું કે, અહીં દાન આપવા આવ્યા છે, તમે અમારી સાથે આવો. વિશ્વાસમાં આવીને ધનુબેન તેમની સાથે ચાલ્યા અને એચ.ડી.એફ.સી. બેંકની બાજુમાં સીડી પાસે બેઠા હતા. કિંમતી સામાન ઉતારવાનું કહેતા વૃદ્ધાએ બંગડી ઉતારી દીધીત્યાં બેસીને એક વ્યક્તિએ કહ્યું કે, દાન આપનારાઓ તમને ચેક કરશે, જો તમારી પાસે કોઈ કિંમતી વસ્તુ જોવા મળશે તો દાન નહીં આપે. તેથી તમારી પહેરેલી સોનાની બંગડીઓ કાઢી નાખો. ધનુબેને તેમની વાતમાં આવીને બંને સોનાની બંગડીઓ કાઢીને તેઓના નાના પર્સમાં મૂકી અને તે પર્સને પોતાની ખરીદીના થેલામાં મૂકી દીધો હતો. પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરીઆ પછી ઠગોએ વાતો કરીને ધનુબેનનું ધ્યાન ચુકાવ્યું અને દાન આપનારા આવે તે પહેલાં જ બંનેએ મળીને તે થેલો લઈ લીધો અને ભાગી ગયા હતા. આ ઘટનામાં ભોગ બનનાર વૃદ્ધાની બે સોનાની બંગડી જેની કિંમત રૂપિયા 2,85,100ની હતી. આ મામલે વૃદ્ધાએ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે બે અજાણ્યા ઈસમોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 8:48 am

બોટાદ માલધારી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન:સ્વ. મેહુલભાઈ જોગરાણા અને રાજેન્દ્રભાઈ સાંબડના સ્મરણાર્થે

બોટાદ માલધારી સમાજ દ્વારા સ્વ. મેહુલભાઈ જોગરાણા (ઢાંકણીયા) અને સ્વ. રાજેન્દ્રભાઈ સાંબડ (બોટાદ) ના સ્મરણાર્થે ઓક્શન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ 20 માર્ચ, 2026 ના રોજ સવારે 10:00 કલાકે બોટાદના સરકારી હાઈસ્કૂલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આયોજકો દ્વારા આમંત્રિત મહેમાનો, સમાજના આગેવાનો અને પત્રકાર મિત્રોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ સમાજને એક મંચ પર લાવવાનો અને યુવાનોને રમતગમત પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો છે. ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને 'મેન ઓફ ધ મેચ' અને 'મેન ઓફ ધ સિરીઝ' જેવા ઇનામો આપી સન્માનિત કરવામાં આવશે. આનાથી ખેલાડીઓનો ઉત્સાહ વધશે. આ ટુર્નામેન્ટના મુખ્ય આયોજકોમાં જીજ્ઞેશભાઈ બોળીયા, રોહિતભાઈ જોગરાણા અને દિપકભાઈ રબારી (ભાણો) નો સમાવેશ થાય છે. લાઈવ ઇવેન્ટના સપોર્ટર્સ તરીકે મેહુલભાઈ રબારી, કાળુભાઈ લામકા, નરેશભાઈ લામકા, ભરતભાઈ અડવાળ અને ગૌરાંગભાઈ લામકા સેવા આપશે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 8:48 am

માથામાં પાઇપ ફટકારતા યુવક નીચે પટકાયો, VIDEO:અટલાદરામાં જૂની અદાવતમાં ચાર શખસે લોહીલુહાણ કર્યો, મિત્રને પણ લાકડાના ફટકા માર્યા

વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મારામારીના બનાવો વધી રહ્યા છે, ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. અટલાદરા વિસ્તારમાં અક્ષર ચોક પાસે રહેતા એક યુવક પર જૂની અદાવત રાખીને ચાર શખસે જીવલેણ હુમલો કર્યો હતો. લોખંડના પાઇપ અને લાકડાના ડંડા વડે થયેલા આ હુમલામાં યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને ગોત્રી જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. શું હતી સમગ્ર ઘટના?આ ઘટના અંગે ભોગ બનનાર ઈજાગ્રસ્ત ધવલ રમેશભાઈ ચૌહાણ દ્વારા અટલાદરા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ, તેઓ અલ્કાપુરીમાં મોબાઈલ ટાવરમાં ટેકનિશિયન તરીકે કામ કરે છે. અગાઉ જ્યારે તે વાસણા રોડ પર રહેતો હતો, ત્યારે પડોશમાં રહેતા તરુણ ઠાકોર સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી. આરોપીઓ ફોન કરી ક્યાં હોવાનું પૂછ્યુંગઈ 15 માર્ચના રોજ રાત્રે સાડા નવેક વાગ્યે તરુણ ઠાકોરે ધવલને ફોન કરીને તે ક્યાં છે, તેમ પૂછ્યું હતું. ધવલે પોતે સનફાર્મા રોડ પર જ્યુપિટર હોસ્પિટલ પાસે હોવાનું જણાવતા તરુણ ઠાકોર તેના અન્ય ત્રણ મિત્ર સાથે ત્યાં ધસી આવ્યો હતો. આ મારામારીમાં આરોપી તરુણ ઠાકોર, ભાવેશ પરમાર, વિક્રમ ઉર્ફે એરટેલ નાયક અને રિકેશ બારીયા નામના ચાર સમાવેશ છે. લોખંડની પાઈપ ફટકારતા લોહીલુહાણઆ ઘટનામાં ઇજાગ્રસ્ત ધવલ અને તેમના મિત્ર સુનિલ માળી જ્યારે બાંકડા પર બેઠા હતા, ત્યારે આ શખસો મોપેડ લઈને આવ્યા હતા અને ગાળાગાળી શરૂ કરી હતી. રિકેશ બારીયાએ ધવલને ધક્કો મારી નીચે પાડી દીધો હતો. ત્યારબાદ તરુણ ઠાકોરે તેના મોપેડમાંથી લોખંડની પાઇપ કાઢી ધવલના માથામાં ફટકારી દીધી હતી. જ્યારે મિત્ર સુનિલ તેને છોડાવવા વચ્ચે પડ્યો તો વિક્રમ ઉર્ફે એરટેલ નાયકે તેને લાકડાના ડંડા વડે ડાબા હાથ પર ફટકો મારી ઈજા પહોંચાડી હતી. હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં ધવલને જોઈ તમામ આરોપીઓ સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરીકોઈ અજાણ્યા રાહદારીએ 108ને જાણ કરતા બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ગોત્રી જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓને સારવાર આપવામાં આવી રહી છે. આ મામલે અટલાદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 8:29 am

'મોઢે આવેલો કોળિયો છીનવાઇ ગયો, હવે શું કરવું?':ભારે પવન સાથે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કરી દીધા, ઉભા પાકની સાથે APMCમાં પડેલો માલ પણ પલળી ગયો

ચૈત્ર માસના પ્રથમ નોરતે એટલે કે ગઇકાલ વહેલી સવારે અને મોડી રાત્રે રાજ્યના મોટાભાગના જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ અને કરા પડતાં કાળઝાળ ગરમીમાં શીતળતા વ્યાપી છે પણ ખેડૂતોના ખેતરોમાં ઉભો પાક નાશ પામ્યો છે. જેને લઇને ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. માવઠાનો પ્રારંભ ગઇકાલે વહેલી પરોઢથી ઉત્તર ગુજરાતના વાવ-થરાદ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાંથી થયો છે, જે બાદ સાંજ અને રાત્રે રાજ્યના મોટાભાગના જિલ્લામાં ભારે પવન અને કરા સાથે વરસાદ પડતાં ખાસ કરીને ઉનાળુ બાજરી, જીરુ, કપાસ, વરિયાળી, ઘઉં, એરંડા, ઈસબગુલ જેવા ઊભા પાક સાથે ઉનાળાના પ્રારંભે કેરીના પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત માર્કેટ યાર્ડમાં પહેલો માલ પણ પલળીને નાશ પામ્યો છે. જેને લઇને ખેડૂતો સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 8:28 am

ચૈત્રમાં ચક્રવાત:પવનના રૌદ્ર રૂપ અને માવઠાએ કચ્છને ધમરોળ્યું

સમગ્ર રાજ્ય સહિત કચ્છ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી આગાહી ખેડૂતો માટે મુસીબત સાબિત થઈ રહી છે. 18મી માર્ચની મધ્યરાત્રિથી જ કચ્છના વાતાવરણમાં આવેલા ભયાનક પલટાએ સમગ્ર જિલ્લાને બાનમાં લીધો હતો. 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ગતિએ ફૂંકાયેલા પવને જાણે કુદરતનો પ્રકોપ ઉતાર્યો હોય તેમ અનેક સ્થળોએ ઘટાદાર વૃક્ષોને મૂળમાંથી ઉખેડી ફેંક્યા હતા, તો અનેક ગરીબ પરિવારોના આશરા સમાન ઘરના પતરાં કાગળની જેમ હવામાં ઉડી ગયા હતા. સાયક્લોનિક સર્ક્યુલેશન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે સર્જાયેલા આ માહોલમાં ઝાપટા રૂપી વરસાદે મુશ્કેલીમાં વધારો કર્યો હતો. દિવસ દરમિયાન અસહ્ય ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકો માટે રસ્તા પર નીકળવું દુષ્કર બન્યું હતું. જોકે, કાળઝાળ ગરમીથી રાહત મળી છે, પરંતુ આ રાહત ખેડૂતો માટે ‘આફત’ બનીને આવી છે. હાલ સૌથી વરવી સ્થિતિ જગતના તાતની થઈ છે. હાલ ખેતરોમાં ઘઉં, જીરું, વરિયાળી,એરંડા અને રાયડો જેવા પાકો તૈયાર અવસ્થામાં ઉભા હતા. કમનસીબી એ છે કે, ભારે પવનના કારણે તૈયાર પાક જમીનદોસ્ત થઈ ગયો છે. જે ખેડૂતોએ પાકની કાપણી કરી લીધી હતી અને થ્રેસર મશીનની રાહ જોઈ રહ્યા હતા, તેમના પાકને વરસાદી ઝાપટાએ પલાળી દેતા પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. અબડાસાથી માંડીને રાપર સુધીના પંથકમાં ખેડૂતોના મોઢે આવેલો કોળિયો કુદરતે છીનવી લીધો છે. આજે પણ કચ્છ સહિત બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જેવા જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાપર : મોમાઈમોરામાં કરાનો વરસાદ, તાલુકામાં પાક નુકશાની વાગડ વિસ્તારના રાપર તાલુકામાં ગત મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે મીની વાવાઝોડું ફૂંકાયું હતું. ગાજવીજ અને વીજળીના કડાકા સાથે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોમાં ચિંતા ફેલાવી છે. રામવાવ, ખેંગારપર, મોટી રવ, પ્રાથળ, ફતેગઢ, ગેડી, બાલાસર, ભીમાસર, બાદરગઢ અને નીલપર સહિતના ગામોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. મોમાઈમોરા ગામે બપોરે અચાનક કરા સાથે વરસાદ પડ્યો હતો. સ્થાનિક દયારામ મહારાજના જણાવ્યા મુજબ અંદાજે અડધો કલાક સુધી કરા વરસ્યા હતા, જેના કારણે ગામમાં લોકો અને બાળકો કરા એકત્ર કરતા નજરે પડ્યા હતા. આ કમોસમી વરસાદથી હાલ તૈયાર થયેલ વરિયાળી, ઈસબગુલ, જીરું, ઘઉં અને એરંડા સહિતના શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ ઉભી થઈ છે. કેટલાક ખેતરોમાં પાણી ભરાતા સ્થિતિ વધુ ગંભીર બની છે. ખાસ કરીને ઈસબગુલ અને વરિયાળી પાકમાં નુકસાનની શક્યતા વધુ જણાઈ રહી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ભારે પવન, કરા અને વરસાદના ઝાપટાંથી ખેતી પર સીધી અસર પડી છે. લખપત : નરામાં 50થી વધુ મકાનોના છાપરા ઉડ્યા, વૃક્ષો-વીજપોલ ધરાશાયીલખપત તાલુકામાં બુધવારે મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવતા જોરદાર પવન સાથે મીની વાવાઝોડું ફૂંકાયું હતું, જેના કારણે અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. આંધી અને પવનના જોરથી વૃક્ષો, સાઇનબોર્ડ અને વીજ થાંભલાઓ ધરાશાયી થઈ ગયા હતા, જ્યારે કાચા મકાનોના છાપરા ઉડી જવાના બનાવો પણ સામે આવ્યા હતા. તાલુકામાં સૌથી વધુ અસર નરા વિસ્તારના પંજાબીવાંઢ અને ગુરુ નાનક નગરી વિસ્તારમાં જોવા મળી હતી, જ્યાં અંદાજે 50થી વધુ મકાનોના છાપરા ઉડી જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આ ઘટનાના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. આગેવાન તેમજ તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ રાજુભાઇ સરદારે નુકસાનીની માહિતી મેળવી હતી. દયાપર, ઘડુલી, દોલતપર, મેઘપર, બરંદા, મુધાન, ગુનેરી, વર્માનગર, કપૂરાશી, કોરિયાણી, છેર, સુભાષપર, માતાનામઢ અને કોટડા મઢ સહિતના વિસ્તારોમાં પણ ભારે પવનથી નુકસાન નોંધાયું હતું. આ મીની વાવાઝોડા બાદ બીજા દિવસે ગુરુવારે બપોરે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા લોકોની મુશ્કેલીમાં વધુ વધારો થયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં શેરીઓમાં પાણી વહી નીકળ્યા હતા. ખેડૂતોના જણાવ્યા મુજબ કમોસમી વરસાદના કારણે પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. પવન અને વરસાદની દ્વિગુણ અસરને કારણે ખેડૂતો બેવડી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સાથે જ વીજપોલ અને ટ્રાન્સફોર્મરોને નુકસાન થતા વીજ પુરવઠા પર પણ અસર પડી છે

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 7:33 am

મીની વાવાઝોડાએ ખેડૂતોની વધારી ચિંતા:કચ્છમાં આજે પણ ઓરેન્જ એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાઇ શકે છે પવન

સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મીની વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે ખેડૂતો માટે મોટી મુશ્કેલી સર્જાઈ છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે પણ કચ્છ જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આગાહી મુજબ કચ્છ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, મોરબી, ગીર સોમનાથ અને દીવમાં 50 થી 70 કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ભુજનું મહત્તમ તાપમાન એક જ દિવસમાં 6 ડિગ્રી ગગડીને 31.8 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે નલિયામાં 30.4 ડિગ્રી અને કંડલા પોર્ટ તેમજ એરપોર્ટ વિસ્તારમાં 32 ડિગ્રી તાપમાન રહેતા લોકોને કાળઝાળ ગરમીમાંથી તો રાહત મળી છે, પરંતુ તોફાની પવન અને વરસાદને કારણે ઉભા પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂત આલમમાં ભારે ફાળ પડી છે. માતાના મઢ મંદિર પરિસરમાં બંધાયેલ મંડપ જમીન દોસ્ત થયો હતો. સાંય ગામે વીજળી પડતા છતમાં ખાડો પડ્યો રાપર તાલુકાના સાય ગામે રાત્રે લગભગ ત્રણ વાગ્યાના સમયે રહેણાંક વિસ્તારમાં એક મકાનની છત પર વીજળી પડતાં છતને નુકસાન પહોંચ્યું હતું અને તેમાં ખાડો પડી ગયો હતો. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. ગાગોદર, સાય, કીડીયાનગર, કાનમેર અને રણ વિસ્તારની અનેક વાડીઓમાં ઉભા પાક પર કમોસમી વરસાદનો ભારે પ્રભાવ પડ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ખાસ કરીને ઈસબગુલ અને એરંડાના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, પવન અને વરસાદના કારણે અનેક ખેતરોમાં પાણી ભરાઈ જતા સ્થિતિ વધુ ગંભીર બની છે. કેટલીક જગ્યાએ બોર્ડ અને પતરાં ઉડી જવાના બનાવો પણ સામે આવ્યા છે. રવાપર પંથકમાં અડધાથી પોણો ઇંચ વરસાદ નખત્રાણા તાલુકાના રવાપર પંથકમાં બુધવારની મોડી રાત્રિએ તેજ પવન ફૂંકાયો હતો અને વરસાદના ઝરમર છાંટા પડ્યા હતા. ત્યારબાદ ગુરુવારે બપોરે બે વાગ્યાના અરસામાં ગાજવીજ અને પવનના સુસવાટા સાથે વરસાદનું આગમન થયું હતું. જાણે ચોમાસું હોય તેમ જોરભેર શેરીઓમાંથી પાણી વહી નીકળ્યા હતા. સતત અડધો કલાક સુધી વરસેલા વરસાદના કારણે અડધો થી પોણો ઇંચ પાણી પડ્યું હતું અને ત્યારબાદ પણ ધીમી ધારે વરસાદ ચાલુ રહ્યો હતો. પંથકના નાગવીરી, ઘડાણી, હરીપર, વિગોડી, આમારા, રતડીયા, નવાવાસ, લીફરી, વાલ્કા સહિતના વિસ્તારોમાં તેજ પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. માધાપરમાં ભારે પવનથી 2 વીજપોલ ધરાશાયી થયા માધાપર જુનાવાસના મતિયા કોલોની વિસ્તારમાં બે વીજપોલ ધરાશાયી થયા હતા. પીજીવીસીએલની સમયસુચકતાથી વરસાદ કે પવન શરૂ થયાની સાથે જ વીજ પુરવઠો બંધ કરી દેવાયો હતો. સ્થાનિકોએ જાણ કરતા તાત્કાલિક પોલ બદલવાની કાર્યવાહી કરાઈ હતી.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 7:13 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:માંડવીમાં સિલિન્ડર માટે કલાકોનો ઇન્તજાર, છતાં લોકોને ખાલી હાથે પરત ફરવાનો વારો

પશ્ચિમ એશિયામાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે વકરેલા યુદ્ધની અસર છેવાડાના માનવીના રસોડા સુધી પહોંચી છે. માંડવી શહેરમાં આવેલી ઇન્ડેન ગેસ એજન્સી પર ગેસના બોટલ લેવા માટે ગ્રાહકોને કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવા છતાં ઘણા લોકોને ખાલી હાથે પરત ફરવું પડી રહ્યું છે. માંડવી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો સવારે 08:30 વાગ્યાથી ગેસ એજન્સી પર લાઈનો લગાવી દે છે. બપોર સુધી ઊભા રહ્યા બાદ પણ ગ્રાહકોને ગેસનો બોટલ મળશે કે નહીં તેની કોઈ ગેરંટી નથી. આ સ્થિતિને કારણે ગામડાઓમાંથી રિક્ષા ભાડા ખર્ચીને આવતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના સમય અને નાણાં બંનેનો વ્યય થઈ રહ્યો છે. લાઈનમાં ઊભેલા લોકોએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, “અમે સવારથી અહીં આવીને લાઈનમાં ઉભા હતા, અમારી આગળના લોકોને જથ્થો મળી ગયો અને અમારો નંબર આવ્યો ત્યારે જથ્થો પૂર્ણ થઇ જતા એજન્સીના શટર બંધ કરી દેવામાં આવ્યા હતા. આ મામલે ગેસ એજન્સીના સંચાલકોનું કહેવું છે કે, પુરવઠો ઓછો આવી રહ્યો છે. જેટલો જથ્થો ઉપલબ્ધ થાય છે તેનું વિતરણ તત્કાલ કરી દેવામાં આવે છે, પરંતુ બુકિંગની સંખ્યા સામે આવતો જથ્થો ઓછો હોવાથી આ અરાજકતા સર્જાય છે. ગુરુવારે તો સ્થિતી એટલી વિકટ બની હતી કે પોલીસને બોલવાની ફરજ પડી હતી.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 7:01 am

માતાના મઢમાં ભક્તોની ભીડ:માતાનામઢમાં પ્રથમ નોરતે ભક્તોએ આઇ આશાપુરાના આશીર્વાદ લીધા

દેશ દેવી મા આશાપુરા માતાજીના સ્થાનક માતાનામઢ ખાતે ગુરુવારથી શરૂ થયેલા ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે અંદાજે દસેક હજાર જેટલા માઈ ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા. સવારથી બપોર સુધી યાત્રિકોની વધુ સંખ્યા જોવા મળી હતી પરંતુ બપોર બાદ ભારે પવન તેમજ ગાજવીજ સાથે આવેલા વરસાદને કારણે ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો આદ્યશક્તિની આરાધના માટે શ્રેષ્ઠ માનવામાં આવતા ચૈત્રી નવરાત્રીના આરંભે જ માતાના મઢમાં મોટી સંખ્યામાં દર્શનાર્થી ઉમટ્યા હતા. બુધવારે મોડી રાત્રે ભારે પવનની આંધી ફુંકાયા બાદ બીજા દિવસે બપોરે ભારે ગાજવીજ સાથે પડેલા વરસાદને કારણે યાત્રિકોની સંખ્યા ઘટી હતી. મીની વાવાઝોડાને કારણે મંદિર પરિસરમાં મંડપ જમીનદોસ્ત થઈ ગયો હતો.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 6:55 am

દીપડો નજરે પડ્યો:હબાય નજીક ધોધમાર વરસાદ વચ્ચે દીપડાના દર્શન, પ્રકૃતિપ્રેમીઓમાં રોમાંચ

ભુજ તાલુકાના હબાય ગામ નજીક મુખ્ય માર્ગ પર એક દીપડો દેખા દેતા રાહદારીઓ અને સ્થાનિકોમાં કુતૂહલ સાથે રોમાંચ ફેલાયો હતો. ગુરુવારે જ્યારે વિસ્તારમાં હળવો વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે હબાય નજીકના પહાડી અને ઝાડીવાળા વિસ્તારમાંથી એક પુખ્ત વયનો દીપડો રોડ સમીપે આવી ચડ્યો હતો. માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોએ આ અદભૂત દ્રશ્ય નિહાળ્યું હતું. ચોમાસાના કારણે ખીલી ઉઠેલી હરિયાળી વચ્ચે બાવળની ઝાડીઓ વચ્ચેથી દીપડાની હાજરીએ વન્યજીવનની સુંદરતામાં વધારો કર્યો હતો. કેટલાક ઉત્સાહી લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં આ દ્રશ્યો કેદ કર્યા હતા, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભુજ તાલુકાનો આ પટ્ટો અને ખાસ કરીને હબાય આસપાસની ટેકરીઓ દીપડાઓ માટે આદર્શ વસવાટ સાબિત થઈ રહી છે. સામાન્ય રીતે વસતીની નજીક દીપડા દેખાય ત્યારે ભયનો માહોલ સર્જાતો હોય છે, પરંતુ હબાય પંથકમાં વન્યપ્રાણી અને મનુષ્યો વચ્ચેના સંઘર્ષના કિસ્સા નહિવત છે. અહીંના દીપડાઓ માનવ વસતીથી અંતર જાળવી રાખે છે અને વન વિભાગના સતત મોનિટરિંગને કારણે કોઈ મોટી દુર્ઘટના નોંધાઈ નથી. જાગૃત લોકોએ સ્થાનિકોને અપીલ કરી છે કે રાત્રિના સમયે એકલ-દોકલ અવરજવર ટાળવી અને વન્યજીવ દેખાય તો તેને પજવણી ન કરવી અને તાત્કાલિક વનવિભાગને જાણ કરવી.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 6:52 am

ઠગ પોલીસના સંકજામાં:રતીયા પાસે નકલી આઈડી બનાવી ઠગાઈનો પ્રયાસ કરતા 2 પકડાયા

શહેરના ચીટરો છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડીયાને હથિયાર બનાવી એકના ત્રણ ગણા કરી દેવાની લાલચે લોકો પાસેથી રૂપિયા પડાવી રહ્યા છે. તેવામાં રતીયા નજીકથી ફેસબુકમાં નકલી આઈડી બનાવી ઠગાઈનો પ્રયાસ કરતા સગીર આરોપી સહીત બે ઇસમ નકલી નોટોના બંડલ સાથે એલસીબીને હાથ લાગ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીની ટીમ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.એ દરમિયાન બાતમી મળી હતી કે,રહિમન નગરમાં રહેતો આરોપી સોહિલ સલીમ ચાવડા અન્ય એક ઇસમ સાથે એફડીઆર રિસોર્ટ બહાર રોડ પર એકટીવા નંબર જીજે 12 ઈએસ 3625 વાળી લઈને હાજર છે. જે સોશિયલ મીડિયા પર નકલી આઈડી બનાવી તેમાં ચલણી નોટોના વિડીયો પોસ્ટ કરી લોભામણી જાહેરાત થકી ઠગાઈનો પ્રયાસ કરી રહ્યા છે. બાતમીને આધારે પોલીસે સ્થાનિકે તપાસ કરતા કાયદાના સંઘર્ષમાં આવેલ આરોપી સહીત બન્ને હાજર મળી આવ્યા હતા.પોલીસે આરોપીના મોબાઈલમાં તપાસ કરતા વિશાલ પટેલ નામની ફેસબુક આઈડી બનાવેલી હતી. જેમાં રૂપિયા 500,200 અને 100 ની નોટોના બંડલના વિડીયો પોસ્ટ કરેલા હતા.અને રૂપિયા એક લાખના ચાર કરી આપવાની લોભામણી જાહેરાત કરેલી હતી.જે બાદ પોલીસે એકટીવામાં તપાસ કરતા તેમાંથી 500 ની નકલી નોટોના 8 બંડલ મળી આવ્યા હતા જેમાં ઉપરની એક નોટ સાચી અને બાકીની નકલી નોટો રાખેલી હતી. જે બાબતે બન્ને આરોપીની પૂછપરછ કરતા ભુજના આરોપી આબીદ ખાન પઠાણ અને અલીશા કાસમશા શેખે ચીટીંગ કરવા માટે મોકલેલા હોવાનું જણાવ્યું હતું. એલસીબીએ મુદ્દામાલ સાથે આરોપીઓની અટકાયત કરી માનકુવા પોલીસ મથકે આ મામલે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 6:50 am

અત્યંત જટિલ સુવાવડ એમ્બ્યુલન્સમાં જ કરાવાઈ:નાળ વીંટળાયેલા બાળકને સફળ પ્રસૂતિ સાથે બચાવી લેવાયું

તાલુકાના ખાવડાના કોલીવાસ વિસ્તારમાં રહેતી સગર્ભાને અચાનક પ્રસૂતિની પીડા ઉપડતા પરિવારજનો દ્વારા 108ને જાણ કરાઈ હતી. લોકેશન પર પહોંચેલી ટીમે જોયું કે માતાની સ્થિતિ અત્યંત નાજુક હતી અને હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ પ્રસૂતિ કરાવવી અનિવાર્ય હતી. પ્રસૂતિ દરમિયાન 108ના સ્ટાફની તપાસમાં એક ગંભીર બાબત સામે આવી હતી કે નવજાત બાળકના ગળાના ભાગે ગર્ભનાળ (નાળ) વીંટળાયેલી હતી, જોકે, ઇએમટી પ્રકાશ મકવાણા અને પાયલોટ ઇમરાન નોતીયારે પોતાની સૂઝબૂઝ અને તાલીમનો ઉપયોગ કરી અત્યંત સાવચેતીપૂર્વક નાળને સરકાવી નોર્મલ ડિલિવરી કરાવી હતી. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઇઆરસીપી ડો. કરણ દ્વારા ફોન પર આપવામાં આવેલી તબીબી સલાહ મુજબ જરૂરી સારવાર અપાઈ હતી. સફળ પ્રસૂતિ બાદ માતા અને નવજાત બાળક બંને સુરક્ષિત હોવાનું જણાતા તેમને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રોગ્રામ મેનેજર ડો. ભવર પ્રજાપતિ અને ઇએમઈ હિરેન જોશીના માર્ગદર્શન હેઠળ ખાવડાની ટીમે આ કામગીરી કરી હતી.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 6:49 am

અદાણી મેડિકલ કોલેજમાં યોજાયો ગ્રેજ્યુએશન સમારોહ:ડોક્ટરની ડિગ્રી માત્ર ઓળખ નહીં,પણ એક મોટી જવાબદારી છે

ભુજની અદાણી મેડિકલ કોલેજમાં વર્ષ 2020ની બેચના 151 તબીબી વિદ્યાર્થીઓએ MBBSનો અભ્યાસક્રમ પાર કરવાની સાથે એક વર્ષના સમયગાળાની ઇન્ટરશીપ પણ પરિપૂર્ણ કરતાં ગ્રેજ્યુએશન સમારોહ યોજવામાં આવ્યો હતો. અદાણી હેલ્થકેર ગ્રૂપના હેડ ડૉ .પંકજ દોશીએ સાચા યશના ભાગીદાર વિદ્યાર્થીઓના વડીલોને ગણાવી ઉમેર્યું કે, તેમના પુરુષાર્થ, પ્રેરણા અને યોગદાન થકી જ આ સંસ્થા સમાજને તબીબો આપી શકવા સક્ષમ બની છે. MBBS બન્યા પછી રસ મુજબ આગળ વધવા તેમણે જણાવ્યું હતું. મેડિકલ ડાયરેક્ટર ડો.બાલાજી પિલ્લાઈએ કચ્છમાં ડિગ્રી પ્રાપ્ત કરવી અનેરો લહાવો ગણાવ્યો હતો. ડીન ડો. એ. એન. ઘોષે કહ્યું કે, તબીબ બનવું એ ફક્ત ડિગ્રી નથી પણ ઉમદા વ્યવસાય સાથે મોટી જવાબદારી પણ છે. ચીફ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. નરેન્દ્ર હિરાણીએ તબીબોને ચરક સંહિતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે આસિ.ડીન ડો.અજીત ખીલનાની, ડો.સચિન પાટીલ, ડો.હિતેશ આસુદાની સહિત ફેકલ્ટી, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, તબીબો જોડાયા હતા. વિભાગ મુજબ ગોલ્ડ અને સિલ્વર મેડલ એનાયત કરાયા હતા. સમગ્રતયા (ઓવર ઓલ) ગોલ્ડ મેડલ દવે વિશ્વા પરેશકુમારના ફાળે ગયો હતો. સમારંભના કોઓર્ડિનેટર તરીકે ડો.પારસ પારેખ અને ડો.મોનાલી જાની રહ્યા હતા. ડૉ.હાર્દિક વાઘેલા, ડો. રૂપલ બિરારે, ડો.જ્યોત કેશરાણી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 6:48 am

વાવાઝોડાએ સર્જ્યો વિનાશ:મિનિ વાવાઝોડાથી 121 ફીડરમાં વીજ પૂરવઠો ઠપ

કચ્છમાં આવેલા મિની વાવાઝોડા અને વરસાદે સમગ્ર જિલ્લામાં પીજીવીસીએલની વીજ વ્યવસ્થાને ભારે અસર પહોંચાડી હતી. જિલ્લાના અનેક વિસ્તારોમાં વીજ થાંભલા ધરાશાયી થવાના બનાવો બન્યા હતા. વરસાદી પવનના ઝાટકાઓ વચ્ચે લો-વોલ્ટેજ જેવી સમસ્યાઓ પણ સર્જાતાં અનેક વિસ્તારોના રહેવાસીઓને અંધારપટ અને રોજીંદી કાર્યોમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં રાખીને પીજીવીસીએલની ટીમોએ તાત્કાલિક મોરચો સંભાળી જુદા-જુદા વિસ્તારોમાં મરામત કામગીરી શરૂ કરી હતી. શરૂઆતમાં સવારે આશરે 125 જેટલા ફીડર બંધ થયા હતા, પરંતુ બપોરે 2 વાગ્યા સુધીમાં ઝડપી કામગીરીના પરિણામે બંધ ફીડરની સંખ્યા ઘટીને 30 પર આવી ગઈ હતી. જોકે બાદમાં હવામાનની પરિસ્થિતિ ફરી વિકટ બનતાં ગુરુવારે સાંજે 5 થી 7 વાગ્યાના સમયગાળામાં કુલ 121 જેટલા ફીડર અસરગ્રસ્ત બન્યા હતા. મળતી માહિતી મુજબ, પશ્ચિમ કચ્છમાં જ્યોતિગ્રામના 26 ફીડર બંધ થયા હતા, જ્યારે છેરમાં આવેલ ઝેટકો સબ સ્ટેશન પણ બંધ થઈ જતાં વીજ અસર નોંધાઈ હતી. બીજી તરફ અર્બન અને સિટી વિસ્તાર મોટા ભાગે ફિડરો બંધ થયા બાદ તંત્ર દ્વારા પુનઃ શરૂ કરવામાં આવ્યા હતા. ભુજ શહેરમાં સરપટ ગેટ, એરપોર્ટ વિસ્તાર અને સેવન સ્કાય આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠા પર અસર થઈ હતી, પરંતુ તાત્કાલિક મરામત કામગીરી હાથ ધરાતા ત્યાં પુરવઠો પુનઃસ્થાપિત કરાયો હતો. વાવાઝોડા અને વરસાદના કારણે કુલ 84 વીજ થાંભલાઓને નુકસાન પહોંચ્યું હતું તેમજ 2 ટ્રાન્સફોર્મર પણ ડેમેજ થયા હતા. અનેક સ્થળોએ વીજ લાઈનો અને માળખાકીય સુવિધાઓને નુકસાન થતા પીજીવીસીએલની ટીમોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી તેજ બનાવી હતી. આજ સવાર સુધીમાં વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવશેઅસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો ફરી શરૂ કરવા માટે ટીમોને જુદા જુદા ઝોનમાં મોકલી મરામત કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. કાલ રાત સુધીમાં મોટા ભાગનું કામ પૂર્ણ થઇ ચુક્યું છે. જ્યારે કોઈ સબ સ્ટેશન અથવા પોલ સંબંધિત વીજ પુરવઠો બંધ હશે તો તેને આજ સવાર સુધીમાં પુનઃચાલુ કરી દેવામાં આવશે.> તપન વોરા, અધિક્ષક ઇજનેર, પશ્ચિમ કચ્છ

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 6:46 am

ઠગ દ્વારા જમીન હડપવાનો પ્રયાસ:વડસરની જમીનનો ખોટી સહી-આધાર થકી 1.22 કરોડમાં 2 ઠગે દસ્તાવેજ કરી લીધો

વડસરની જમીનનો માલિકોની જાણ બહાર અમદાવાદ-કાવીના બે ગઠિયાએ ખોટી સહિ, દસ્તાવેજ, ખોટી પાવર ઓફ એટર્ની બનાવી રૂા.1.22 કરોડમાં દસ્તાવેજ કરી લેતાં ફરિયાદ બાદ માંજલપુર પોલીસે 1ની ધરપકડ કરી છે. કારેલીબાગના રમેશભાઈ પટેલે અમદાવાદના હસમુખ પટેલ અને કાવીના નરેન્દ્ર પરમાર વિરૂધ્ધ પોલીસ કમિશરને અરજી આપી જણાવ્યું હતું કે, તેમણે મુંબઈના બે મિત્રો હર્ષદ ગોરડીયા અને પ્રમોદ ગરોડીયા સાથે ભાગીદારીમાં જમીન ખરીદી હતી. મૂળ માલીક બેચરભાઈ બારોટ હતાં. હર્ષદભાઈ અવસાન પામતાં તેમના દિકરાઓની વારસાઈ કરાવવા વકીલને કામ સોંપતાં જમીનમાં ખોટા આધારકાર્ડથી 1.22 કરોડનો વેચાણ દસ્તાવેજ 14 જુલાઈ 2020ના રોજ થયો હતો. માંજલપુર પીઆઇ એલ.ડી.ગમારાએ જણાવ્યું કે, નરેન્દ્ર પરમારની ધરપકડ કરવામાં આવી છે, હસમુખ પટેલને પોલીસ શોધી રહી છે. આધારકાર્ડ નંબર ખોટો, અન્યના ફોટા ચોંટાડીને દસ્તાવેજ કરી લીધોફરિયાદીએ જણાવ્યું કે, ગઠિયાઓએ વેચાણ દસ્તાવેજમાં આધારકાર્ડનો નંબર ખોટો લખાવ્યો હતો. ખોટી સહિઓ કરી અન્ય વ્યક્તિઓના ફોટા ચોંટાડીને સબ રજીસ્ટ્રારમાં ફરિયાદી અને તેમના બે ભાગીદારોની જગ્યાએ તેના મળતિયાઓને ઉભા રાખીને વેચાણ દસ્તાવેજ કરી લીધો હતો. ગઠિયાઓએ નકલી પાવર ઓફ એટર્ની બનાવી ચેક આપ્યાનું દર્શાવ્યુંબંને ગઠિયાએ રૂ.1.22 કરોડમાં દસ્તાવેજ કરી પ્રમોદભાઈ ગોરડીયા જીવીત હોવા છતાં તેમના નામે નકલી પીઓએ તેમજ મૃતક ભાગીદારના નામે પણ રજીસ્ટ્રાર પીઓએ બનાવી હતી. દસ્તાવેજમાં વિજયા બેંકના 6 ચેક આપ્યાં હતા.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 6:29 am

GATEની પરીક્ષામાં ઝળહળતી સફળતા:વડોદરાના શ્રેયાંશ સિંઘની GATEમાં AIR-52મી અને ગુરુદત્તની 73મી રેન્ક

ગત ફેબ્રુઆરી મહિનામાં લેવાયેલી ગ્રેજ્યુએટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ(GATE)કના પરિણામો જાહેર થયા છે. જેમાં વડોદરાના શ્રેયાંશ સિંઘે એન્વાયર્નમેન્ટલ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં 52મી રેન્ક મેળવી છે. તેનો ગેટ સ્કોર 737 છે. જ્યારે ગુરુદત્ત યજ્ઞેશ દવેએ 75મી રેન્ક મેળવી છે. ગુરુદત્તનો ગેટ સ્કોર 848 રહ્યો હતો. તેને ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં આ રેન્ક મેળવી છે. આ ઉપરાંત નીર કમલેશ ચોક્સીએ 267મી ઓલ ઇન્ડિયા રેન્ક મેળવી 527 ગેટ સ્કોર છે. તેમજ અર્જુન મકાડીયાએ ઇન્સ્ટ્રુમેન્ટ એન્જિનિરિંગમાં 306મી રેન્ક મેળવ્યો છે અને 623 ગેસ્ટ સ્કોર કર્યો છે. આમ ગેટ 2026 પરીક્ષામાં વડોદરાના બે ઉમેદવારોએ ઉત્તમ પ્રદર્શન કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ગેટ પરીક્ષા એક મહત્વપૂર્ણ સ્પર્ધાત્મક પરીક્ષા છે, જે એન્જિનિયરિંગ અને વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે યોજાય છે. દર વર્ષે આશરે 8થી 9 લાખથી વધુ ઉમેદવારો નોંધણી કરે છે અને લગભગ 6થી 7 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે, જેમાંથી માત્ર લગભગ 15–20% જ ક્વોલિફાય થાય છે. આથી તેની સ્પર્ધા ખૂબ જ કઠિન માનવામાં આવે છે. આ પરીક્ષા દ્વારા વિદ્યાર્થીઓને આઈઆઈટી અને એનઆઈટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પ્રવેશ મળે છે તેમજ સરકારી નોકરીઓમાં પણ ઉપયોગી સાબીત થાય છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 6:25 am

રાજ્ય સ્તરીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ:ક્રિકેટમાં RMSની ટીમે 8 વિકેટમાં નીઓટેક કોલેજને ઓલઆઉટ કરી, ચોગ્ગાથી જીતી

વડોદરા. અજવા રોડ સ્થિત આરએમએસ પોલિટેકનિક ખાતે રાજ્ય સ્તરીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જીટીયુ સ્પિરિટ અંતર્ગત યોજાયેલી આ ટુર્નામેન્ટમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના 100થી વધુ ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટમાં મધ્ય ગુજરાતની અનેક ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. આરએમએસ પોલિટેકનિકે નીઓટેક કોલેજ વચ્ચેની ફાઇનલ મેચ યોજાઇ હતી. જેમાં આરએમએસની ટીમે 8 વિકેટમાં ઓલ આઉટ કરી છેલ્લા ચોગ્ગો મારી નીઓટેક કોલેજની ટીમને હરાવી ઉત્કૃષ્ટ રમત દર્શાવી ફાઇનલ સુધીનો સફર પાર કર્યો હતો. ઝોનલ કક્ષાના અંતિમ મુકાબલામાં આરએમએસ પોલિટેકનિક વચ્ચે મેચ યોજાઇ હતી. જ્યારે રાજકોટની એવીપીટીઆઇ ટીમનો વિજય થયો હતો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ટીમની એકતા અને રમત પ્રત્યેનો જુસ્સો સ્પષ્ટ જોવા મળ્યો હતો. આમ ડિપ્લોમા એન્જિનિયરિંગના જામનગર, અમદાવાદ અને દમણ સહિતની ટીમોએ ભાગ લઇ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન આપ્યું હતું.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 6:23 am

પોલીસ કાર્યવાહી:શિક્ષિકાને સોશિયલ મીડિયા પર હેરાન કરનારો યુવક ઝડપાયો

મદનઝાપા પાસે રહેતી ખાગની શાળાની શિક્ષિકાને એક યુવક સોશિયલ મીડિયાની અલગ-અલગ આઈડીથી મેસેજ કરીને હેરાન કરતો હતો. ફેબ્રુઆરી મહિનામાં યુવકે શિક્ષિકાની સોશિયલ મીડિયાની પોસ્ટ પર માય વેલેન્ટાઈન ડે તેવી કોમેન્ટ કરી હતી. થોડા સમયથી યુવક શિક્ષિકાના ઘરની આસપાસ ફર્યા કરતો હતો. જેથી તેણે યુવકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકને ઝડપી પાડ્યો હતો. મૂળ બંગાળની મહિલા વડોદરામાં રહે છે અને શિક્ષિકા તરીકે ખાનગી શાળામાં ફરજ બજાવે છે. 2022માં તેઓને સોશિયલ મીડિયા પર હિરેન રાજપૂત નામના યુવકનો મેસેજ આવ્યો હતો. જોકે શિક્ષિકા તેને બ્લોક કરી દીધું હતું. 2023માં સ્મીત રાજે નામના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથ મેસેજ આવતા શિક્ષિકાએ તે એકાઉન્ટ પણ બ્લોક કરી દીધું હતું. 2025માં હિરેન રાજપૂત નામનની સોશિયલ મીડિયા આઈડી પરથી ફરી મેસેજ આવ્યો હતો, જેમાં તેણે મેસેજ કર્યો હતો કે, મારે તમારી સાથે માત્ર તમારી સાથે વાત કરવી છે, તમે કેટલો ઘંમડ રાખો છો, તમે ના પાડશો તો તેમને મેસેજ નહીં કરું. આ પ્રકારના તે મસેજે કર્યા કરતો હતો. ગત ફેબ્રુઆરીની 7 તારીખે હિરેને શિક્ષિકાની સોશિયલ મીડિયાની પર માય વેલેન્ટાઈન તેવી કોમેન્ટ કરી હતી. જોકે શિક્ષિકાએ તે કોમેન્ટ ડીલીટ કરી દીધી હતી. જે બાદ હિરેન શિક્ષિકાના ઘરની આસપાસ ફર્યા કરતો હતો. જેથી શિક્ષિકાએ હિરેન રાજપૂતની સામે નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 6:21 am

ઠગાઈ:અકોટા ટાઉનશિપમાં 2 કરોડની ઠગાઈ, ભાગીદારોને અંધારામાં રાખી છેતરપિંડી

અકોટાની જમીનમાંથી પસાર થતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સંપાદનના રૂ.2 કરોડ અકોટા ટાઉનશીપ પેઢીના ભાગીદારને અંધારામાં રાખીને એક ભાગીદાર પૈકી જમીના મુળ માલિકે મેળવી ઠગાઈ કરી હતી. આ મામલે અકોટા પોલીસે ગુનો નોંધ્યો છે. તાંદલજા આયશા વીલા ખાતે રહેતા બિલ્ડર સલમાન અબ્દુલ રઝાક પટેલ સહિત પિતા, ભાઈ, માતા અને અન્ય 14 લોકોએ યુનિક ડેવલોપર્સ પેઢી બનાવી હતી. તે પેઢીએ 2002માં અકોટા ગામની 4 જમીનો 41 મુળ માલિક પાસેથી ડેવલપમેન્ટ કરાર અને બાનાખત કરાર મુજબ મેળવી હતી. જેના રૂ.2.72 કરોડ ચૂકવવાના હતા. રૂ.66 લાખ સાથે જમીન પર અકોટા ટાઉનશીપ સ્કીમમાં 28 પ્લોટ આપવાનું નક્કી કર્યું હતું. પેઢીમાં 6.25 ટકાના ભાગીદાર હસન ઉર્ફે કડુ અલી પટેલ (રહે, અકોટા)ને પીઓએ આપ્યું હતું. હસન ઉર્ફે કડુએ જમીન માલિકો સાથે મળીને પેઢીના ભાગીદારો સાથે વિશ્વાસઘાત કર્યો હતો. સરવે નં-8માંથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેતુ માટે 475 ચો.મિટર સંપાદન કરવા જાહેરનામુ પ્રસિદ્ધ થયું હતું. ભાગીદારોની જાણ બહાર હસને જમીન માલિકને વળતર અંગે અન્ય ભાગીદારને વાંધો નથી તેવું સોગંદનામું કર્યું હતું. તે રૂપિયા મેળવવા મુળ માલિક જુબેર મુસા બાબર અને ઈલ્યાસ અલ્લી બાપુએ સિટી સર્વે તથા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં બે-બે ખોટા પેઢીનામા રજૂ કરીને 2 કરોડની રકમ જમીન માલિકો પૈકી જુબેર મોલવીના ખાતામાં 1.66 કરોડ મેળવી લીધા હતા. હસને 47 લાખ પોતાના ખાતામાં મેળવ્યા હતા. જ્યારે ગુલામમોહમદ નુરમીયા શેખ 34 લાખ પોતાના એકાઉન્ટમાં મેળવી લીધા હતા. મિલકતના અવેજની પૂરેપૂરી રકમ યુનિક ડેવલોપર્સના ભાગીદારે ચૂકવી હોવા છતાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની રકમ બારોબાર મેળવી લઈ છેતરપિંડી કરી હતી. જે અંગે અકોટા પોલીસે ગુનો નોંધ્યો હતો. ભાસ્કર ઇનસાઇડહજુ 3 આરોપી ઉમેરાશે, રૂા.1.66 કરોડમાંથી 3 લોકોના ખાતામાં રૂપિયા જમા થયા હતાબુલેટ ટ્રેન પ્રોજેક્ટના રૂ.2 કરોડ પૈકી રૂ.1.66 કરોડ જુબેર મુસા બાબરના ખાતામાં ટ્રાન્સફર થયા હતા. ત્યારે તે ખાતામાંથી અન્ય ચાર જમીનના મુળ માલિકના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થયા હોવાનું સુત્રોએ કહ્યું હતું. જોકે હજી આરોપીઓમાં ત્રણ આરોપી ઉમેરાય તેમ છે. કુલ છ જમીનના મુળ માલિકે આ ઠગાઈ કરી હતી, બીજી બાજુ અકોટા ટાઉનશીપનો મામલો હવે અટવાઈ ગયો છે. તેના ડુપ્લેક્ષના દસ્તાવેજ પણ બાકી રહી ગયા છે તેમ સુત્રોએ કહ્યું હતું.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 6:20 am

વ્યાજખોરોનો આતંક:રેસ્ટોરન્ટના પૂર્વ સંચાલક પાસે 1 કરોડ સામેની વ્યાજ સાથે 1.41 કરોડ વસૂલ્યા, વધુ 50 લાખ માગી ધમકી

ફતેગંજના રેસ્ટોરન્ટ અને બેંક્વેટના પૂર્વ સંચાલકને કરોડિયાના વ્યાજખોરે 1 કરોડ વ્યાજે આપી 1.41 કરોડ વસૂલી લીધા હતા. છતાં 50 લાખ માગી ધમકી આપતાં સયાજીગંજ પોલીસે 2 વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો છે. મૂળ વડગામના અને હાલ ફતેગંજ રહેતા ઈમ્તિયાઝઅલી મરેડિયા 2020માં ગોરવા પંચવટી પાસે રેસ્ટોરન્ટ એન્ડ બેંક્વેટ ચલાવતા હતા. કરોડિયા રોડ સત્યમ ટેનામેન્ટમાં રહેતા દિનેશ પરમારની દુકાન ગ્રાઉન્ડ ફ્લોર પર હતી, જે ઈમ્તિયાઝઅલીએ ભાડે રાખી હતી. 2021થી દિનેશ પરમાર પાસેથી ઈમ્તિયાઝઅલીએ મહિને 2 ટકાના વ્યાજે ટુકડે-ટુકડે 1 કરોડ લીધા હતા. તે પછી તેમણે 2024 સુધીમાં 2 ટકા લેખે 45.20 લાખ વ્યાજના ચૂકવી દીધા હતા. 1 કરોડની મૂડી સામે દિનેશ પરમાર 2024માં વધુ દબાણ કરતો હોવાથી ઈમ્તિયાઝઅલીએ પી.એમ.આંગડિયા મારફતે સિદ્ધપુર ધ્રોલ ખાતે દીપકભાઈને બે વખત 30 લાખ મોકલ્યા હતા. દિનેશ વ્યાજની ઉઘરાણી કરતો હતો. ઈમ્તિયાઝઅલી વતી તેમના મોટા ભાઈ આબીદઅલી મરેડિયા અને સાળો નઝરમહંમદ શેલિયા પાસેથી 35 લાખનું લખાણ લઈ કાગળ પર સહી કરાવી હતી. દિનેશે નઝરમહમદ પાસેથી 10 લાખ ઘરે મગાવ્યા હતા. ઈમ્તિયાઝઅલી પાસેથી દિનેશ પરમારે 96 લાખ મૂડી તેમજ 45.20 લાખ વ્યાજના મળીને કુલ 1.41 કરોડ લઇ લીધા હતા છતાં દિનેશ વધુ વ્યાજની ઉઘરાણી કરી 50 લાખની માગણી કરતો હતો અને ચેક લઈ લીધા હતા. દિનેશ ધમકી આપતો હતો કે, ખોટા કેસમાં ફસાવી દેશે, સંબંધી પર પણ ખોટા કેસ કરશે અને ઉઠાવી જશે. ઈમ્તિયાઝઅલીએ હોટલ પણ વેચી દીધી હતી. આ મામલે સયાજીગંજ પોલીસે બે સામે નાણા ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. 1 કરોડથી વધુના ગેરકાયદે વ્યવહાર સંદર્ભે ઈડી પણ તપાસ કરે શકે છેઆ કેસમાં રૂ.1 કરોડથી વધુના ગેરકાયદે નાણાના વ્યવહારની વિગતો મળે તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પણ મેદાને આવે તેમ જાણવા મળ્યું હતું. બ્લેક મની અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. બીજી બાજુ દિનેશ અને ઈમ્તિયાઝઅલી વચ્ચે 8 દુકાનના ભાડા સહિતનો પણ સિવિલ મામલો બન્યો હોવાનું તેમજ દિનેશે પોતે પોતાની 8 દુકાનો પરત લઈ લીધી હોવાનું જાણવા મળ્યું હતું. 60 લાખનો ખર્ચ કરેલી અને સલૂનના સામાન સાથેની દુકાન દિનેશે લઈ લીધીઈમ્તિયાઝઅલીએ દિનેશ પરમારની ગોરવાની દુકાન ભાડે રાખીને રૂ.60 લાખનો ખર્ચો કર્યો હતો. સાથે જ તેમાં સલુનનો સામાન પણ રાખ્યો હતો. વ્યાજના રૂપિયા સાથે દિનેશ પરમારે ઈમ્તિયાઝઅલી પાસેથી તે દુકાનનો કબ્જો લઈ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 6:19 am

ઉદ્યોગ સાહસિકોને સશક્ત બનાવવા પ્રયાસ:ઉદ્યોગ સાહસિકોને નાણાકીય વ્યવહારો, ડિજિટલાઈઝેશન અંગેની તાલીમ અપાઈ

વડોદરા જિલ્લામાં સ્થાનિક ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાના હેતુથી પ્રોજેક્ટ સક્ષમ-2.0નો 3 દિવસીય તાલીમ કાર્યક્રમ પૂર્ણ કરાયો હતો. બજાજ ફિનસર્વ અને એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, અમદાવાદ વચ્ચેના આ સંયુક્ત પ્રયાસને બજાજ ફિનસર્વની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી નીતિ હેઠળ અમલમાં મૂકવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ્ય ઊભરતા સૂક્ષ્મ-ઉદ્યોગ સાહસિકોને વિનામૂલ્યે નાણાકીય અને ડિજિટલ સાક્ષરતાની તાલીમ પૂરી પાડવાનો છે. ઇડીઆઈઆઈના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર સુરેન્દ્ર જૈન દ્વારા સંચાલિત આ વર્કશોપ્સમાં લાઈવબ્રેન માર્કેટિંગનાં સ્થાપક અને લીડ સ્ટ્રેટેજિસ્ટ શ્વેતા શર્મા અને ભારત સરકારના ડીટી નેશનલ બોર્ડ ફોર વર્કર્સ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટના એજ્યુકેશન ઓફિસર યોગેશ અરુણ ચાટીએ સત્રો રજૂ કર્યાં હતાં. આ કાર્યક્રમમાં ઇલેક્ટ્રોનિક બેંકિંગ, કેશ ફ્લો મેનેજમેન્ટ, વીમા વિશેની જાણકારી આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 6:14 am

ભૂલકાઓ હવે AI ટેકનોલોજીથી મેળવશે શિક્ષણ:વડોદરા જિલ્લામાં એઆઈથી સજ્જ 3 સ્માર્ટ આંગણવાડી ખુલ્લી મૂકાઇ

વડોદરા જિલ્લામાં એઆઈથી સજ્જ 3 સ્માર્ટ આંગણવાડી ખુલ્લી મૂકાઇ છે. વાઘોડિયા તાલુકાના ભૂલકાઓ માટે અત્યાધુનિક સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી વોલ્ટાસ લિમિટેડની સી. એસ. આર. પહેલ અંતર્ગત અંબુજા ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવેલી ડિજિટલ સ્માર્ટ આંગણવાડીઓ ખુલ્લી મૂકવામાં આવી છે. 11 ગામોમાં આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્રમાં હાથ ધરાયેલા પ્રોજેક્ટના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવી છે, જેથી બાળકો પ્રાથમિક કક્ષાએથી જ વાંચન, ગણન અને લેખનમાં સજ્જ બની શકે. પ્રથમ તબક્કામાં ગજાદરા, સોમેશ્વરપુરા અને વ્યારા ગામની આંગણવાડીઓને ડિજિટલ સ્માર્ટ આંગણવાડીમાં પરિવર્તિત કરવામાં આવી છે. કેન્દ્રોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ સ્માર્ટ પેનલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ શાળા, આંગણવાડી અને પેટા આરોગ્ય કેન્દ્રોમાં માળખાકીય સુવિધાઓની મરામત તેમજ વિવિધ આરોગ્ય કેમ્પ પણ યોજાયો હતો. બાળકો પ્રાથમિક કક્ષાએથી જ વાંચન, ગણન, લેખનમાં સજ્જ બની શકશે

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 6:12 am

વગર પરવાનગીએ ઇફતાર પાર્ટી:સેન્ટ્રલ ગુજરાત યુનિ.ની મેસમાં એનએસયુઆઇ દ્વારા ઇફતાર પાર્ટીનું આયોજન, વિવાદનો વીડિયો વાઇરલ

સેન્ટ્રલ ગુજરાત યુનિવર્સિટીની મેસમાં એનએસયુઆઇએ ઇફતાર પાર્ટીનું આયોજન કર્યું હતું. જેનો વિડિયો વાઇરલ થયો છે. NSUIએ સીયુજી ઇન્સ્ટાગ્રામ પેજ પર આ ઘટનાના ફોટો અને વીડિયો અપલોડ કર્યા છે. વગર પરવાનગીએ કાર્યક્રમનું આયોજન કરાયું હોવાનું જાણવા મળ્યું છે. સેન્ટ્રલ ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઇ દ્વારા ઇફતાર પાર્ટીના આયોજનથી વિવાદ થયો છે. મેસમાં આ કાર્યક્રમ યોજવામાં આવતાં તેની સામે સવાલો ઉભા થયા છે. સેન્ટ્રલ ગુજરાત યુનિવર્સિટી સરકારી સંસ્થા છે અને ત્યાં આ પ્રકારના આયોજન માટે કોની પરવાનગી લેવામાં આવી હતી તેની જવાબદારી લેવા કોઇ તૈયાર નથી. એનએસયુઆઇ વિદ્યાર્થી સંગઠન છે. સેન્ટ્રલ ગુજરાત યુનિવર્સિટી એનએસયુઆઇના વિદ્યાર્થી નેતાઓએ સમગ્ર આયોજન કર્યું હતું. ઇફતાર પાર્ટી માટે મેસને સજાવવામાં પણ આવી હતી સાથે તમામ વિદ્યાર્થીઓ સહિતના સ્ટાફને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોના પગલે અગામી સમયમાં વિવાદ વધુ વકરે તેવી શકયતાઓ છે. મેસના મેનૂમાં ચિકનનો સમાવેશ કરવા માગ કરીમેસના મેનૂમાં નોર્થ ઇસ્ટના વિદ્યાર્થીઓના નામે ચિકનની ડીશનો સમાવેશ કરવા માટે પણ વિદ્યાર્થી સંગઠને માગણી કરી હતી. જેના પગલે પણ વિવાદ થયો હતો. યુનિવર્સિટીમાં અત્યારે મેસના મેનૂમાં ઇંડાનો સમાવેશ કરાયેલો છે. ઓફિશિયલ પરવાનગી લેવામાં આવી નથીસેન્ટ્રલ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોએ જણાવ્યું હતું કે અમારી પાસે ઓફિશિયલ પરવાનગી લેવામાં આવી નથી. આ પ્રકારની કોઇ પરવાનગી સેન્ટ્રલ ગુજરાત યુનિવર્સિટી આપતી નથી. ભાસ્કર ઇનસાઇડઅમે તમામ ધર્મોના તહેવારો ઊજવીએ છીએસેન્ટ્રલ યુનિવર્સિટીમાં જમ્મુ-કાશ્મીર, નાગાલેન્ડ, ઉત્તર પ્રદેશ, તમીલનાડુ સહિતના મોટાભાગના રાજ્યોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તમામ ધર્મના વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે. અને તમામ ધર્મોના તહેવારોની ઉજવણી સેન્ટ્રલ યુનિવર્સિટીમાં કરાય છે. જેના ભાગરૂપે ઇફતાર પાર્ટીનું આયોજન કરાયું હતું. જેની પરવાનગી લેવામાં આવી હતી. > પ્રિન્સ જહા, એનએસયુઆઇ, ઇન્ચાર્જ, સીયુજી

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 6:11 am

મિલકત વેરાની વસૂલાત:મિલકત વેરાના બાકીદારો માટે 31મી સુધી વ્યાજ માફીની યોજના લંબાવાઇ

પાલિકા દ્વારા બાકી મિલકતા વેરાની વસૂલાત માટે કડકાઇ દાખવવામાં આવી છે. બીજી તરફ બાકી મિલકત વેરાની વસૂલાત માટે જાહેર કરાયેલી પ્રોત્સાહક વ્યાજ વળતર યોજનાની મુદત વધારવામાં આવી છે. લોકો વોર્ડ કચેરી જવાને બદલે ઓનલાઇન પણ વેરો ભરી શકે છે. જ્યારે આગામી 31 માર્ચ સુધીમાં તમામ રવિવાર અને જાહેર રજાના દિવસોમાં પણ પાલિકાની વોર્ડ કચેરીઓ કાર્યરત રહેશે. નાણાકીય વર્ષ પૂરું થવાના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પાલિકા દ્વારા ચાલુ વર્ષના વેરાની કડકાઇથી વસૂલાત શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત મિલકતોને સીલ કરવાની સાથે રહેણાક મિલકતોને નોટિસ પણ આપવામાં આવી છે. બીજી તરફ બાકી વેરાની વસૂલાત માટે હવે રવિવારના દિવસે પણ કચેરીઓ ખુલ્લી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રજાના દિવસો અને રવિવારે 9.30થી બપોરે 2 વાગ્યા સુધી પાલિકાની કચેરીઓ દ્વારા નાણાં સ્વીકારવામાં આવશે. જ્યારે સામાન્ય કામકાજના દિવસોમાં સાંજના 4 વાગ્યા સુધીના સમયમાં વધારો કરીને 5 વાગ્યાનો કરાયો છે. 31 માર્ચના રોજ ચાલુ નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ હોવાને કારણે ગ્રાહકો રાત્રે 9 વાગ્યા સુધી વેરો ભરી શકશે. આ અંગે ડેપ્યુટી કમિશનર સુરેશ તુવેરના જણાવ્યા અનુસાર આ યોજના હેઠળ વર્ષો જૂના બાકીદારોને મોટી આર્થિક રાહત આપવામાં આવી રહી છે. વર્ષ 2003-04થી 2024-25 સુધીની બાકી રકમ પર રહેણાક મિલકતોને 80 ટકા અને બિન-રહેણાક મિલકતોને 60 ટકા વ્યાજ માફી મળશે. વોરંટ ફી, નોટિસ ફી અને પેનલ્ટીમાં પણ 100 ટકા રાહત જાહેર કરવામાં આવી છે. નાગરિકો કચેરીએ ધક્કા ખાવાને બદલે ઓનલાઈન પણ વેરો ભરી શકે છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 6:09 am

વુડાનું 801 કરોડનું બજેટ મંજૂર કરાયું:અંકોડિયામાં 57 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાશે,દુકાન-પ્લોટ વેચીને 105 કરોડ મેળવશે

વુડા દ્વારા 2026-27નું બજેટ રજૂ કરાયું છે. જેમાં રોડ-રસ્તા, ડ્રેનેજ અને આવાસ યોજના પર વિશેષ ભાર મૂકાયો છે. 801.70 કરોડની આવક સામે 643 કરોડનો ખર્ચ અંદાજાયો છે. જેમાં અંકોડિયામાં 57 ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાશે. તદુપરાંત રોડ માટે 200 કરોડ અને ખાનપુર ખાતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાછળ 167 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. વુડાની આર્થિક સ્થિતિનો આધાર ગ્રાન્ટ પર છે. વુડાને પ્રધાનમંત્રી આવાસ યોજના અને યુડીડીની 350 કરોડની ગ્રાન્ટ મળવાની આશા છે. બજેટમાં ખર્ચનો સૌથી મોટો હિસ્સો રોડ, એસટીપી, ડ્રેનેજ અને પાણી નેટવર્ક, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, રિંગ રોડ અને અન્ય રોડ પ્રોજેક્ટ્સ માટે 517 કરોડની જોગવાઈ છે. વુડા 2 વર્ષની જેમ આ વર્ષે પણ પ્લોટ વેચી 100 કરોડ મેળવશે. જ્યારે સરકારી ગ્રાન્ટ તરીકે વુડાને 300 કરોડ મળવાની સંભાવના છે. બજેટમાં ખર્ચમાં 36 ટકાનો વધારો કરાયો છે. વિકાસલક્ષી કાર્યોમાં ગત વર્ષ કરતાં 171 કરોડથી વધુનો વધારો કર્યો છે. જોકે ગત વર્ષ કરતાં બજેટનું કદ 119 કરોડ ઘટ્યું છે. લોજિસ્ટિક પાર્કનો ડીપીઆર મંજૂર, 5 કરોડની કમ્પાઉન્ડ વોલ બનશેશહેરના હાલોલ રોડ પર ટોલનાકા પાસે વુડા દ્વારા લોજિસ્ટિક પાર્ક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં 80 વીઘા જમીનમાં લોજિસ્ટિક પાર્ક તૈયાર કરવામાં આવશે. વુડા દ્વારા આ વર્ષના બજેટમાં રૂા.5 કરોડની જોગવાઈ કરાઈ છે, જે રકમનો ખર્ચ કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે થશે. નોંધનીય છે કે, વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી વેળાએ તેમાંથી નીકળતી માટી અહીંયાં ઠલવાઈ હતી. 75 મીટર રિંગ રોડ પર 27.54 કિમીના કામમાં અંડરપાસ અને 600 મીટર રસ્તાનું કામ બાકીશહેર ફરતે વુડા દ્વારા 75 મીટરનો રિંગ રોડ બનાવવાની કામગીરી કરાઈ રહી છે. જે અંતર્ગત પહેલા તબક્કામાં પૂર્વમાં આજવા રોડ જેસિંગપુરાથી રતનપુર સુધી અને પશ્ચિમમાં અંકોડિયાથી ચાપડ સુધી 27.54 કિમીનો રોડ બનાવવામાં આવી રહ્યો છે, જેની પાછળ 271 કરોડનો ખર્ચ થયો છે. હજી અનેક જગ્યાએ રોડ બનાવવાનો બાકી છે તેમજ એક અંડરપાસ બનાવવાની કામગીરી કરાશે. આ કામગીરી માટે 50 કરોડની જોગવાઈ કરાઈ છે. વુડાને ક્યાંથી આવક થશે, ક્યાં ખર્ચ થશે?

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 6:08 am

અણધારી આફત:60 કિમીના પવનો સાથે માવઠું, 8 ઝાડ પડ્યાં, 1 લાખ ઘરોમાં વીજળી ડૂલ

રાજસ્થાનમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનથી ગુરુવારે વાવાઝોડા સાથે માવઠું વરસ્યું હતું. સાંજે 7થી 8 સુધી 60 કિમીની ઝડપે પવન ફૂંકાતાં પારો 5 ડિગ્રી ગગડી ગયો હતો. જ્યારે 60 ફીડર, 3 સબ સ્ટેશનનાં 1 લાખ ઘરમાં વીજળી ડૂલ થઈ હતી. 8 સ્થળે ઝાડ પડ્યાં હતાં, જ્યારે પરિવાર ચાર રસ્તા પાસે ગાયને કરંટ લાગ્યો હતો. સાઇક્લોનિક સર્ક્યુલેશનને પગલે શહેરમાં ગુરુવારે સવારથી 8થી 10 કિમીના પવન ફૂંકાયા હતા. જ્યારે સાંજે 5:30 બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. તે પછી મોડી સાંજે 7થી 8 વાગ્યા સુધીમાં 60 કિમીની ઝડપે પવન ફૂંકાયા હતા. જેને પગલે ધૂળની ડમરી ઊડતાં ટુ-વ્હીલર ચાલકો પરેશાન થયા હતા. જ્યારે ધૂળિયા વાતાવરણમાં વિઝિબિલિટી 500 મીટરથી ઓછી થઈ હતી. 20 માર્ચે પણ વાદળો જોવા મળશે અને પવનની ઝડપ 10 કિમી સુધી નોંધાશે. બીજી તરફ વંટોળિયાને કારણે કારેલીબાગ, હરણી, છાણી, માંજલપુર સહિતના વિસ્તાર સહિત 60થી વધુ ફીડર અને 3 સબ સ્ટેશન બંધ થતાં 1 લાખ જેટલાં ઘરોમાં વીજળી ડૂલ થઈ હતી. જેને પગલે વીજ કર્મીઓ દોડતા થયા હતા. આ 8 સ્થળે વૃક્ષ ધરાશાયી: 1)બદામડીબાગ પાસે2) વાસણા જકાત નાકા પાસે 3) માંજલપુર પ્રમુખ પ્રસાદ ચોકડી પાસે 4) ભાયલી નવરચના યુનિ. પાસે 5) તાંદલજાના ઝમઝમ પાર્ક પાસે6) ટીપી-13 મારુતિધામ સોસા. પાસે 7) સલાટવાડા શિવાજી ચોક ખાતે 8) બરોડા ડેરી પાસે સબ સ્ટેશનો બંધ થતાં જ 20થી વધુ ફીડર ઠપમકરપુરા-બી, તરસાલી અને માંજલપુરનાં 3 સબ સ્ટેશન બંધ થયાં હતાં. જેટકોની આ મુખ્ય લાઈનથી વીજ પ્રવાહ ટ્રાન્સફર કરાય છે. જે બંધ થતાં 20થી વધુ ફીડર ઠપ થયાં હોવાનું જાણવા મળ્યું હતું. જોકે અન્ય વીજ લાઇનોનું મોડી રાત સુધી સમારકામ કરાયું હતું. ભાસ્કર એક્સપર્ટમાર્ચમાં 3 મુખ્ય કારણોથી વરસાદ-વંટોળ આવે છે 1) વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષોભ)ઠંડી હવામાન પ્રણાલી મેડિટેરેનિયન વિસ્તારમાંથી ઉત્તર ભારત તરફ આવે છે. જેેની અસર ગુજરાત સુધી પહોંચે છે.જેથી ગાજવીજ સાથે માવઠું થાય છે. 2) ગરમ-ઠંડી હવા અથડાતાં થંડરસ્ટ્રોમમાર્ચમાં જમીન ગરમ થાય છે. ગરમ હવા ઉપર જઈ ઠંડી હવા સાથે અથડાય છે. આ પ્રક્રિયાને કન્વિક્શન કહેવાય છે. જેથી થંડરસ્ટ્રોમ રચાય છે. 3) પ્રિ-મોન્સૂન એક્ટિવિટીમાર્ચથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં ભેજ અને વાતાવરણમાં અસ્થિરતા વધે છે. જેથી વંટોળ અને વરસાદ આવે છે. - મુકેશ પાઠક, હવામાન નિષ્ણાત

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 6:03 am

કમોસમી વરસાદે રાજ્યભરમાં ધમાલ મચાવી:અનેક જગ્યાએ પાક અને વીજ પુરવઠાને નુકસાન, આજે કચ્છ-બનાસકાંઠા સહિત 4 જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી

રાજ્યના હવામાન વિભાગ દ્વારા છેલ્લા બે દિવસમાં કમોસમી વરસાદ અને ભારે પવનની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે ગતરોજ રાત્રે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 72 તાલુકામાં 1 મિમીથી લઈને 41 મિમી સુધી વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના બગસરામાં દોઢ ઈંચથી વધુ નોંધાયો છે, જ્યારે અન્ય વિસ્તારોમાં પણ ઝરમરથી લઈને મધ્યમ વરસાદ જોવા મળ્યો છે. આજે 4 જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહીહવામાન વિભાગે આગામી 20 માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને કચ્છ જિલ્લાઓમાં હળવો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે જ 24 કલાક બાદ રાજ્યના તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસમાં દિવસનું મહત્તમ તાપમાન 4થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે, જેના કારણે ઉનાળાની તીવ્ર ગરમીનો અહેસાસ થવાની શરૂઆત થઈ શકે છે. પાક અને વીજ પુરવઠાને મોટા પ્રમાણમાં નુકશાન થયુંગત બે દિવસમાં વરસાદ અને તીવ્ર પવનને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, વૃક્ષો તૂટ્યા હતા અને રસ્તાઓ પર પાણી ભરાવાના અહેવાલો પણ મળ્યા હતા. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ઊભા પાકોને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે નાગરિકોને આગામી દિવસોમાં પણ સાવચેત રહેવા અને હળવા વરસાદ તેમજ તીવ્ર પવનની સંભાવનાને ધ્યાનમાં રાખીને સતર્કતા રાખવાની સલાહ આપી છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 6:00 am

બ્લેક થાર ને ઘોડો, યોગગુરુના વેશમાં છુપાયેલો ફેક કરન્સીનો કિંગપિન:15 ફૂટ ઉંચી દીવાલ, હાઇટેક ઓફિસમાં સિતાર અને તલવાર; ભાસ્કર પહોંચ્યું સુરતમાં પ્રદીપના ‘રહસ્યલોક’માં...

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગઇકાલે(18 માર્ચ) એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી રૂપિયા 2 કરોડથી વધુની કિંમતની બનાવટી ચલણી નોટો સાથે 7 શખ્સોની ધરપકડ કરી હતી. આ તમામ નોટો 500 રૂપિયાના દરની હતી. સુરતમાં નકલી નોટો બની હતી અને અમદાવાદમાં હેરફેર માટે આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમા નકલી નોટોની હેરાફેરી થતી હતી. નોટોની સપ્લાય માટે કાર પર ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા અને આયુષ મંત્રાલયના નામનો ઉલ્લેખ થતો હતો. ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ અને સુરતમાં કાર્યવાહી કરી હતી. જેમાં અમદાવાદમાંથી 2.10 કરોડની અને સુરતમાં 80 લાખની નકલી નોટો કબ્જે કરી હતી. આ મામલે સત્યમ યોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુજીની પણ ધરપકડ કરાઈ હતી. ત્યારે દિવ્ય ભાસ્કર પણ પ્રદીપ ગુરુજીના ‘રહસ્યલોક’માં પહોંચ્યું હતું. કામરેજના ધોરણ પારડી ગામની સીમમાં ‘સત્યમ યોગ ફાઉન્ડેશન’સુરત કામરેજના ધોરણ પારડી ગામની સીમમાં લગભગ એક વીઘા જમીનમાં ફેલાયેલા આ 'સત્યમ યોગ ફાઉન્ડેશન'ની સૌથી પહેલી ઓળખ તેની રહસ્યમય ઊંચી દીવાલો છે. સામાન્ય રીતે કોઈ પણ આધ્યાત્મિક આશ્રમ ખુલ્લો અને ભવ્ય હોય છે, પરંતુ યોગગુરુ પ્રદીપે તેના આશ્રમની ચારે બાજુ 15 ફૂટ ઊંચી દીવાલો ચણી લીધી હતી. આ દીવાલો પર લોખંડના તારનું ફેન્સીંગ કરવામાં આવ્યું હતું, જેથી બહારથી કોઈ વ્યક્તિ અંદર ડોકિયું પણ ન કરી શકે. સુરતની કોઈ મોટી સ્કૂલમાં પણ ન હોય તેવી આ કિલ્લેબંધી પાછળ પાપ છુપાયેલું હતું. ગેટ ખોલતા જ આલિશાન લાઈફસ્ટાઈલ, ગૌશાળા અને અશ્વશાળામુખ્ય ગેટથી અંદર પ્રવેશતા જ આ આશ્રમ કોઈ સાત્વિક કેન્દ્ર ઓછું અને કોઈ રાજા-રજવાડાનો આલિશાન મહેલ વધુ હોય તેવું દ્રશ્ય દેખાય છે. આશ્રમમાં પ્રવેશતા જ એક બાજુ ગૌશાળા બનાવવામાં આવી છે, જ્યાં ગાયો રાખવામાં આવતી હતી. નવાઈની વાત એ છે કે યોગગુરુ પ્રદીપને ઘોડા પાળવાનો ભારે શોખ હતો, જેના માટે તેણે ખાસ અશ્વશાળા બનાવી હતી. લક્ઝરી ગાડીઓ અને મોંઘાદાટ અશ્વ આ કહેવાતા યોગગુરુની લક્ઝરી લાઈફની સાક્ષી પૂરે છે, જે સામાન્ય યોગીને ક્યારેય પરવડે નહીં. ખાસ ઓફિસના સોફા પર બેસીને રચાતું 'ફેક કરન્સી'નું ષડયંત્રઆશ્રમની અંદર પ્રદીપની એક અત્યંત આધુનિક ઓફિસ આવેલી છે, જે મોંઘા ફર્નિચરથી સજ્જ છે. તપાસમાં સામે આવ્યું છે કે આ એ જ ઓફિસ છે, જ્યાં પ્રદીપ તેના ખાસ સોફા પર બેસીને આખા રાજ્યમાં ફેક કરન્સી સપ્લાય કરવાનું નેટવર્ક ઓપરેટ કરતો હતો. અહીંથી જ નકલી નોટો છાપવાથી લઈને તેના વિતરણ અને બજારમાં ઘુસાડવા સુધીના તમામ પ્લાન તૈયાર કરવામાં આવતા હતા. યોગના બહાને આવતા લોકોની નજરથી બચીને અહીં કરોડો રૂપિયાની નકલી નોટોનું કાળું બજાર ધમધમતું રાખવામાં આવતું હતું. આ પણ વાંચો: સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાંથી નકલી નોટો મળી, પ્રદીપ ગુરુજીની ધરપકડ યોગાશ્રમમાં રહસ્યમય બેઝમેન્ટદિવ્ય ભાસ્કરની ટીમે જ્યારે આશ્રમની મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યું કે પ્રદીપે આખા બિલ્ડિંગમાં મોટા બેઝમેન્ટ બનાવી રાખ્યા હતા. આ બેઝમેન્ટમાં જ નકલી નોટો છાપવાનું મશીન કે અન્ય ગેરકાયદે સામગ્રી છુપાવવામાં આવતી હોવાની પૂરેપૂરી શંકા સેવાઈ રહી છે. હથિયાર અને સંગીતનો અનોખો સંગમ, એક બાજુ સિતાર, બીજી બાજુ તલવારપ્રદીપની ઓફિસમાં અને તેના રહેવાના રૂમમાં તપાસ કરતા કેટલીક અત્યંત ચોંકાવનારી વિગતો જોવા મળી હતી. તેના ખાસ સોફાની એક બાજુ સંગીતનું સાધન સિતાર પડ્યું હતું, તો બરાબર તેની બીજી બાજુ એક તીક્ષ્ણ અને મોટી તલવાર રાખવામાં આવી હતી. યોગગુરુની પવિત્ર છબી ધરાવતો આ શખ્સ હથિયાર અને સંગીત બંને પોતાની પાસે રાખતો હતો. આ દ્રશ્ય તેની બેવડી માનસિકતા દર્શાવે છે કે તે બહારથી સંગીતપ્રેમી યોગી દેખાતો હતો, પરંતુ અંદરથી ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો ખતરનાક વ્યક્તિ હતો. રાત્રે યુવતીઓની રહસ્યમય અવરજવરસ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, આ આશ્રમમાં રાતના સમયે અસામાન્ય ગતિવિધિઓ વધી જતી હતી. રાત્રે 12 વાગ્યા પછી અંધારામાં લક્ઝરી ગાડીઓમાં બહારના ગામની અજાણી યુવતીઓ આશ્રમમાં આવતી હતી અને વહેલી સવારે 4 વાગ્યે પરત જતી રહેતી હતી. ગ્રામજનોએ આ બાબતે અનેકવાર શંકા વ્યક્ત કરી હતી કે યોગ અને આયુર્વેદિક સારવારના નામે અહીં કંઈક ગંભીર અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આ રાત્રિના વ્યવહારને કારણે આખા ગામના વાતાવરણ પર અને યુવા પેઢી પર અત્યંત ખરાબ અસર પડી રહી હતી. આયુર્વેદિક સારવારના નામે નકલી નોટો છાપવાની મોડસ ઓપરેન્ડીલોકોની નજરમાં અને પોલીસની નજરમાં સારો દેખાવા માટે પ્રદીપ અહીં આયુર્વેદિક સારવારના કેમ્પ અને યોગ શિબિરોનું આયોજન કરતો હતો. પંચકર્મ અને યોગના આસનો શીખવવાના બહાને તે મોટા ઘરના પ્રતિષ્ઠિત લોકોને આશ્રમમાં આમંત્રિત કરતો હતો. આ આધુનિક કોમ્પ્યુટર સિસ્ટમ અને મેડિકલ સાધનોની આડમાં તે પોતાનું નકલી નોટોનું મસમોટું નેટવર્ક સુરક્ષિત રીતે ચલાવી રહ્યો હતો. આ તેની એક એવી સ્કીમ હતી જેમાં કોઈને શંકા ન જાય કે આટલો મોટો યોગગુરુ આવું નીચું કામ કરી શકે છે. સાત વર્ષમાં ઉભું કર્યું કરોડોનું સામ્રાજ્યધોરણ પારડી ગામના લોકોના જણાવ્યા મુજબ, આ જમીન પહેલા ગામના મૂળ નિવાસીઓની જ હતી. લગભગ 10 વર્ષ પહેલા આ જમીન રીસેલ થઈ અને 7 વર્ષ પહેલા પ્રદીપ નામના આ શખ્સે અહીં પગ પેસારો કર્યો હતો. આવતાની સાથે જ તેણે મોટા પાયે પુરાણકામ અને આલિશાન બાંધકામ શરૂ કર્યું હતું. જ્યારે તેણે 15 ફૂટની દીવાલો બનાવવાનું શરૂ કર્યું, ત્યારે ગામના લોકોએ વિરોધ કર્યો હતો, પરંતુ તેણે આ બધું અંગત સુરક્ષા અને યોગની એકાગ્રતા માટે હોવાનું બહાનું કાઢ્યું હતું. ખોટા કામોને કારણે પત્નીએ લીધા છૂટાછેડાપ્રદીપના અંગત જીવનની વાત કરીએ તો, આશ્રમમાં હાલમાં તેના વૃદ્ધ પિતા અને માતા તેની સાથે રહે છે, પરંતુ તેની પત્ની છેલ્લા પાંચ વર્ષથી તેની સાથે રહેતી નથી. ગ્રામજનોમાં ચર્ચાતી વાતો મુજબ, પ્રદીપના આશ્રમમાં ચાલતા ખોટા કામો અને અસામાજિક પ્રવૃત્તિઓને કારણે જ તેની પત્નીએ તેની સાથે છેડો ફાડી નાખ્યો હતો અને કંટાળીને ડિવોર્સ લઈને પિયર ચાલી ગઈ હતી. એક પત્ની પોતાના પતિના કાળા કારનામા સહન ન કરી શકી અને આખરે તેનો સંસાર પણ વેરવિખેર થઈ ગયો હતો. ‘સત્યમ’ હેર સલૂનથી 'સત્યમ યોગ ફાઉન્ડેશન' સુધીની સફરપ્રદીપ સૌથી પહેલા રાજકોટમાં 'સત્યમ' નામથી હેર સલૂન ચલાવતો હતો. ત્યાં ક્રિષ્ના નામની યુવતી સાથે લગ્ન કર્યા બાદ તે સુરત આવી ગયો હતો. ધીમે ધીમે તેણે YouTube અને સોશિયલ મીડિયા પર યોગના અલગ-અલગ આસનોના વીડિયો મૂકવાની શરૂઆત કરી હતી અને એક અનુયાયી વર્ગ ઊભો કર્યો હતો. ત્યારબાદ તેણે 'સત્યમ યોગ ફાઉન્ડેશન' નામની સંસ્થા ઊભી કરી હતી. ગામના લોકોના જણાવ્યા મુજબ, તેણે લોકો પાસેથી પૈસા એકઠા કરી પોતાના નામે આ જમીન ખરીદી હતી. પોલીસ તપાસમાં હજુ મોટા ખુલાસાની શક્યતાહાલમાં નકલી નોટોના આ માસ્ટરમાઇન્ડ પ્રદીપને પોલીસે સકંજામાં લીધો છે અને આશ્રમના ખૂણેખૂણામાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ આશ્રમમાં માત્ર 2 કરોડની નકલી નોટો જ છપાતી હતી, કે પછી અહીં કોઈ મોટા દેહવિક્રયના રેકેટ કે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ ચાલતી હતી? તાપી કિનારે આવેલો આ આલિશાન આશ્રમ હવે ગુનાખોરીના એક એવા મધ્યબિંદુ તરીકે ઉભરી રહ્યો છે, જેણે સમગ્ર દક્ષિણ ગુજરાતને હચમચાવી દીધું છે. આ પણ વાંચો: 100, 200, 500… માગો એટલી નકલી નોટ

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 6:00 am

80 લાખની વસ્તી અને બોમ્બ શોધવા માત્ર એક સ્નિફર ડોગ:સુરતમાં દિવસે ને દિવસે મળતી બોમ્બની ધમકીઓ વચ્ચે સુરક્ષા માત્ર એક જ શ્વાનના ભરોસે; 12ની જરૂર સામે માત્ર 4ની ફોજ

સુરત જેવા મેગા સિટીમાં જ્યાં 80 લાખ લોકો વસે છે, ત્યાં સુરક્ષાનો સમગ્ર દારોમદાર અત્યારે 'ગેલોપ' નામના એકમાત્ર સ્નિફર ડોગ પર આવી ગયો છે. વર્ષ 2008ના સીરિયલ બોમ્બ પ્લાન્ટિંગની ભયાનક યાદો હજુ તાજી છે, ત્યારે આખા શહેરને વિસ્ફોટકોથી સુરક્ષિત રાખવા માટે ગેલોપ રાત-દિવસ એક કરી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, ટેક્સટાઇલ અને ડાયમંડ હબ ગણાતા આ શહેરમાં બોમ્બ ડિટેક્શન માટે હાલ માત્ર ગેલોપ જ સજ્જ છે, જ્યારે એક ટ્રેનિંગમાં, નાર્કોટિક્સ માટે એક અને ટ્રેકર તરીકે એક ડોગનો સમાવેશ થાય છે. જે સુરક્ષા વ્યવસ્થાની ગંભીર સ્થિતિ દર્શાવે છે. વર્ષ 2008માં સુરત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 29 જેટલા જીવંત બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા હતા, જે ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. હાલમાં પણ છેલ્લા ઘણા સમયથી સુરતની શાળાઓ અને સરકારી કચેરીઓને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે. જોકે અત્યાર સુધી આ ધમકીઓ અફવા સાબિત થઈ છે, પરંતુ સુરક્ષા એજન્સીઓ માટે આ સતત સતર્ક રહેવાનો સમય છે. 80 લાખની જનતાની સુરક્ષા અને 'ગેલોપ' પરનો અતિકાય ભારસુરત શહેરની વસ્તી અંદાજે 80 લાખથી વધુ છે અને આટલા વિશાળ જનસમુદાયની સુરક્ષા વ્યવસ્થા જાળવવી એ પોલીસ માટે પડકારજનક કાર્ય છે. બોમ્બ ડિસ્પોઝલ અને એક્સપ્લોઝિવ ડિટેક્શન માટે સુરત પોલીસ પાસે હાલમાં માત્ર બે ડોગ સ્નિફર તરીકે ઉપલબ્ધ છે. તેમાંથી પણ એક ડોગ છેલ્લા ત્રણ મહિનાથી એડવાન્સ ટ્રેનિંગ માટે બહાર મોકલવામાં આવ્યો છે. પરિણામે, સમગ્ર સુરત શહેરની એક્સપ્લોઝિવ શોધવાની જવાબદારી હાલમાં એકમાત્ર 'ગેલોપ' નામના શ્વાન પર આવી પડી છે, જે ચિંતાજનક બાબત કહી શકાય. ગેલોપ માટે એકલા હાથે આટલા મોટા શહેરને કવર કરવું મુશ્કેલગેલોપ એક અત્યંત પ્રશિક્ષિત સ્નિફર ડોગ છે જે એક્સપ્લોઝિવ (વિસ્ફોટકો) શોધવામાં માહેર છે. શહેરના કોઈપણ ખૂણે બોમ્બની અફવા ફેલાય કે વીઆઈપી મૂવમેન્ટ હોય, ગેલોપને તાત્કાલિક ત્યાં રવાના કરવામાં આવે છે. છેલ્લા ત્રણ મહિનાથી તેનો સાથી ડોગ ટ્રેનિંગમાં હોવાથી ગેલોપ પર કામનું ભારણ બમણું થઈ ગયું છે. કોઈપણ શંકાસ્પદ વસ્તુને સૂંઘીને તેમાંથી વિસ્ફોટક છે કે નહીં તે પારખવામાં ગેલોપની ભૂમિકા નિર્ણાયક છે, પરંતુ એકલા હાથે આટલા મોટા શહેરને કવર કરવું મુશ્કેલ છે. વસ્તી પ્રમાણે ડોગ્સની 12ની જરૂરિયાત સામે માત્ર 4નિષ્ણાતો અને સુરક્ષાના માપદંડો મુજબ, 80 લાખની વસ્તી ધરાવતા અને 38 પોલીસ સ્ટેશન ધરાવતા સુરત જેવા શહેરમાં ઓછામાં ઓછા 12 ડોગ્સ હોવા જોઈએ. આ ડોગ્સમાં ટ્રેકર, એક્સપ્લોઝિવ સ્નિફર અને નાર્કોટિક્સ ડિટેક્ટરનો સમાવેશ થવો જોઈએ. તેની સામે સુરત પાસે અત્યારે માત્ર ચાર ડોગ કાર્યરત છે. જેમાં બોમ્બ ડિટેક્શન માટે બે (જેમાંથી એક ટ્રેનિંગમાં), નાર્કોટિક્સ માટે એક અને ટ્રેકર તરીકે એક ડોગનો સમાવેશ થાય છે. આ સંખ્યા સુરતની સુરક્ષા માટે અપૂરતી જણાઈ રહી છે. કરોડોની લૂંટ અને ચોરીના ગુનેગારો સુધી પહોંચવા માટે માત્ર પ્રિન્સી સહારોસુરતમાં રોજના અનેક ગુનાઓ નોંધાય છે, જેમાં સામાન્ય ચોરીથી લઈને કરોડોની લૂંટનો સમાવેશ થાય છે. આ ગુનેગારો સુધી પહોંચવા માટે પોલીસ પાસે 'પ્રિન્સી' નામની ડોબરમેન બ્રીડની ટ્રેકર ડોગ છે. જ્યારે પણ કોઈ મોટા ગુનાની ઘટના બને, ત્યારે પ્રિન્સીને ઘટનાસ્થળે લઈ જવામાં આવે છે. 38 પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ગમે ત્યાં ચોરી થાય, પ્રિન્સીને જ દોડાવવી પડે છે. કરોડોના હીરાના કારોબાર વચ્ચે એકમાત્ર ટ્રેકર ડોગ પર નિર્ભરતા પોલીસની મર્યાદાઓ સ્પષ્ટપણે છતી કરે છે. નશાકારક પદાર્થો પકડવા માટે પોલીસ પાસે 'ડ્રેક' નામનો બીગલ બ્રીડનો ડોગસુરત હવે નાર્કોટિક્સના કેસોમાં પણ સંવેદનશીલ બની રહ્યું છે. ડ્રગ્સ અને નશાકારક પદાર્થો પકડવા માટે પોલીસ પાસે 'ડ્રેક' નામનો બીગલ બ્રીડનો ડોગ છે. તેની ઉંમર 5 વર્ષ છે અને તે ખાસ કરીને NDPSના કેસોમાં મદદરૂપ થાય છે. શહેરમાં રોજના સરેરાશ બેથી ત્રણ નાર્કોટિક્સના કેસો નોંધાય છે, જેની સામે તપાસ માટે માત્ર એક જ ડોગ ઉપલબ્ધ છે. ડ્રગ્સ માફિયાઓના વધતા નેટવર્ક સામે ડ્રેક પરનું દબાણ સતત વધી રહ્યું છે જે તપાસની ગતિ ધીમી કરી શકે છે. કેટલાક ડોગ્સની 4થી 6 વર્ષની નોકરી પૂર્ણપોલીસ ડોગ્સનો કાર્યકાળ સામાન્ય રીતે 10થી 12 વર્ષનો હોય છે. સુરત પોલીસના ડોગ સ્ક્વોડમાં સામેલ શ્વાનોની વય મર્યાદા જોતા, કેટલાક ડોગ્સ 4થી 6 વર્ષની નોકરી પૂર્ણ કરી ચૂક્યા છે. તેમની કામ કરવાની ક્ષમતા જાળવી રાખવા માટે તેમને નિયમિત પ્રેક્ટિસ અને યોગ્ય આહાર આપવામાં આવે છે. જોકે, વધતી જતી ઉંમર અને સતત વધતા કામના ભારણને કારણે તેમની શારીરિક ક્ષમતા પર પણ અસર પડી શકે છે, જે સુરક્ષા વ્યવસ્થામાં ખામી સર્જી શકે તેમ છે. બે અલગ અલગ સ્થળેથી કોલ આવે તો કઈ રીતે સાચવવું તે મોટો પ્રશ્નમાત્ર ડોગ સ્ક્વોડ જ નહીં, પણ બોમ્બ ડિસ્પોઝલ યુનિટ પણ સતત એલર્ટ પર રહે છે. શહેરના વ્યસ્ત વિસ્તારો જેવા કે રેલવે સ્ટેશન, એરપોર્ટ અને મોલ્સમાં નિયમિત રૂટીન ચેકઅપ કરવામાં આવે છે, પરંતુ જ્યારે કોઈ સાચો ખતરો પેદા થાય, ત્યારે ટેકનોલોજીની સાથે સ્નિફર ડોગની સૂંઘવાની શક્તિ સૌથી વધુ કારગત નીવડે છે. હાલની સ્થિતિમાં જો એકસાથે બે અલગ-અલગ સ્થળોએથી કોલ આવે, તો ગેલોપને કઈ રીતે સમયસર પહોંચાડવો તે પોલીસ માટે મોટો ટેકનિકલ પડકાર છે. સુરત જેવા શહેર માટે ડોગ સ્ક્વોડનું સશક્તિકરણ અનિવાર્યસુરત જેવા સંવેદનશીલ અને આર્થિક રીતે મહત્વના શહેર માટે ડોગ સ્ક્વોડનું સશક્તિકરણ અનિવાર્ય છે. 80 લાખની જનતાની સુરક્ષા માત્ર એક ગેલોપ કે પ્રિન્સી પર છોડી શકાય નહીં. સરકાર અને પોલીસ વહીવટી તંત્રએ તાત્કાલિક ધોરણે નવા ડોગ્સની ભરતી કરવી જોઈએ અને તેમને યોગ્ય તાલીમ આપી સ્ક્વોડમાં સામેલ કરવા જોઈએ. જ્યાં સુધી નવા શ્વાનો નહીં આવે, ત્યાં સુધી સુરતની સુરક્ષાનો સમગ્ર દારોમદાર આ મુઠ્ઠીભર વફાદાર સૈનિકો પર જ રહેશે જે જોખમી સાબિત થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 6:00 am

ગેસના બાટલા તો જોઇએ, ફ્લેટમાં ચૂલા થોડી સળગાવાય, VIDEO:અમે ગૃહિણીઓ ક્યાં જઈએ, રોજ હોટલનું જમવાનું ના પોસાય; જાણો શું-શું કહ્યું અમદાવાદી ગૃહિણીઓએ

દેશમાં હાલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે, ઘરેલું ગેસ સિલિન્ડર ના મળતા ગૃહિણીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે ગેસ સિલિન્ડરની સમસ્યાને લઈ દિવ્ય ભાસ્કર અમદાવાદની ગૃહિણીઓ પાસે પહોંચ્યું હતું અને તેમને પડતી મુશ્કેલીઓ જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે, ગેસ સિલિન્ડરની અછત વચ્ચે તમે કઈ રીતે મેનેજ કરો છો. તો આવો જાણીએ અમદાવાદી ગૃહિણીઓએ શું-શું કહ્યું...

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 6:00 am

'મારા જ કર્મ મને અહીં લાવ્યા છે': યોગ ગુરૂ:નકલી નોટો પકડવા PIએ 24 પોલીસકર્મી સાથે સવારથી વોચ ગોઠવી, બપોરે 3 વાગ્યે ફોર્ચ્યુનર દેખાતા ઓપરેશન પાર પાડ્યું

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમરાઈવાડીમાંથી 2.10 કરોડની નકલી નોટો સાથે યોગ ગુરૂ પ્રદીપ જોટંગીયા સહિત કુલ 7 આરોપીની ધરપકડ કરી છે. આ ઓપરેશન 18 માર્ચ 2026ના શરૂ થયું હતું અને 19 માર્ચ બપોરે 3 વાગ્યા સુધી ચાલ્યું હતું. બાતમીના આધારે પીઆઇ અને તેમની સાથેના 24 પોલીસકર્મી સવારથી અમરાઈવાડી મેટ્રો સ્ટેશન પાસે ઊભા હતા. રસ્તા પર આવતી જતી તમામ ગાડીઓ પર પીઆઇ સહિતના પોલીસકર્મીઓ નજર રાખીને બેઠા હતા. બપોરે 3 વાગ્યે એક ફોર્ચ્યુનર કાર દેખાઈ અને તેને ઉભી રખાવી હતી. આ ફોર્ચ્યુનર કારમાંથી નકલી નોટો ભરેલી બેગ સાથે આવેલા યોગ ગુરૂ પ્રદીપ સહિત 7 લોકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડ્યા બાદ યોગ ગુરૂએ પોલીસને કહ્યું કે, માર જ કર્મ મને અહીં લાવ્યા છે, આ મારી ભૂલ છે. બાતમી મળતા જ PIએ 24 પોલીસકર્મી સાથે ઘટનાસ્થળે વોચ ગોઠવીઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ એસ. જે. જાડેજાને 18 માર્ચના એક બાતમી મળી હતી કે, સુરતથી એક સફેદ કલરની 5252 નંબરની કાર નકલી ચલણી નોટોના મોટા જથ્થા સાથે અમદાવાદ આવી રહી છે. બાતમી મળતા જ પીઆઇ જાડેજા 4 PSI અને 20 પોલીસકર્મીઓ સાથે અમરાઈવાડી પહોંચી ગયા હતા. પૈસા ભરેલી કાર આવતી હોવાથી અલગ અલગ ટીમ બનાવીને પોલીસકર્મીઓ અલગ અલગ જગ્યાએ ઉભા હતા. સવારથી રાહ જોતી પોલીસને બપોરે સફેદ કલરની એક કાર દેખાઈપોલીસે આવતી જતી અનેક કાર જોઈ પરંતુ તેમને GJ 05 અને 5252 નંબરની સફેદ કારની તલાશ હતી. બપોર સુધી રાહ જોયા બાદ લગભગ 3 વાગ્યાની આસપાસ એક સફેદ કાર આવી રહી હતી. જે નજીક આવતા તેનો નંબર જોયો અને પોલીસે એકબીજાને ઈશારો કરી તમામ ભેગા થઈ ગયા હતા. પોલીસે કારને મેટ્રો બ્રિજના પિલ્લર નં. 29 અને 30ની વચ્ચે રોકી લીધી હતી. કારમાંથી એક બેગ અને બોક્સમાંથી 500ના દરની નકલી નોટો મળીપોલીસે કાર રોકી પરંતુ નંબર પ્લેટની ઉપર સરકારી પ્લેટ હોય તેમ શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન રજિસ્ટર્ડ બાય આયુષ મંત્રાલય, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું હતું. જોકે, નંબર 5252 જ હતો, જેથી પોલીસે કારમાંથી તમામ લોકોને નામ પૂછીને નીચે ઉતાર્યા હતા. પોલીસે કારમાં તપાસ કરી ત્યારે તેમાંથી કાળા કલરની એક બેગ અને એક બોક્સ મળ્યું હતું. જેમાં રૂપિયા 500ના દરની સેંકડો નોટો મળી આવી હતી. યોગ ગુરૂ પ્રદીપે પોલીસને કહ્યું 'મારા કર્મ જ મને અહીંયા લાવ્યા છે'નોટો મળતા જ પોલીસે પૂછ્યું ત્યારે તમામે નકલી નોટો હોવાનું કબૂલ્યું હતું. યોગ ગુરૂ પ્રદીપને પણ પોલીસે પૂછ્યું ત્યારે તેણે સ્વીકાર્યું કે આ નકલી નોટો છે. પ્રદીપે પોલીસને એવું પણ કહ્યું કે, આ બધા માર કર્મ જ છે, મારા કર્મ જ મને અહીંયા લઈને આવ્યા છે. આ મારી ભૂલ છે. પોલીસે તાત્કાલિક તમામ મુદ્દામાલ સાથે એક મહિલા સહિત તમામની અટકાયત કરી અને ક્રાઈમ બ્રાન્ચ લઈ આવ્યા હતા. પોલીસકર્મીઓએ એક જ કપડામાં 24 કલાક ફરજ બજાવી18 માર્ચ બપોરે 3 વાગ્યાથી કેસની શરૂઆત થઈ હતી જે 19 માર્ચના બપોરે 3:20 વાગ્યા સુધી ચાલ્યો હતો. કાર્યવાહી માટે ગયેલા પીઆઇ અને તેમની ટીમ 18 માર્ચથી એક જ કપડામાં ક્રાઈમ બ્રાન્ચમાં હાજર હતા. આરોપીને ક્રાઈમ બ્રાન્ચ લાવ્યા બાદ પોલીસ દ્વારા પંચનામું કરવામાં આવ્યું હતું. જેમાં 24 કલાક જેટલો સમય થયો હતો. નોટની સંખ્યા વધુ હોવાથી ગણતરી કર્યા બાદ તેનો સીરિયલ નંબર લખવામાં પોલીસને લાંબો સમય લાગ્યો હતો. આરોપીઓએ અગાઉ 20 લાખની નકલી નોટો વટાવી હતીઆરોપીઓ છેલ્લા 6 મહિનાથી નકલી નોટો બનાવતા હતા. જેમાં અગાઉ 20 લાખની નોટો તો બજારમાં વટાવી પણ દીધી હતી. અત્યારે અમદાવાદથી 2.10 કરોડ અને સુરતથી 28 લાખની નકલી નોટો મળી આવી છે. સુરતમાં તપાસ કરતા હજુ પણ 4800 નકલી નોટો બની શકે તેટલો સામાન પડ્યો હતો. જોકે, પોલીસે તમામ સામાન જપ્ત કર્યો છે. સુરતથી નોટો અમદાવાદ લાવવા પ્રદીપ અને મહિલાની મદદ લેવાઈનકલી નોટો બનાવવા માટે પ્રદીપના યોગ આશ્રમમાં પણ પ્રદીપે આરોપીની એકબીજા સાથે મુલાકાત કરાવી હતી. સુરતથી નોટો અમદાવાદ લાવવાની હતી તેમાં પણ પ્રદીપ અને મહિલાની મદદ લેવામાં આવી હતી. કારમાં મહિલા હોય તો તપાસ ન થાય અને પ્રદીપ યોગ ગુરૂ હોવાથી કાર ચેક નહીં થાય તેવો આરોપીઓને વિશ્વાસ હતો. ચાઇનીઝ એજન્ટો પાસેથી સિક્યોરિટી થ્રેડ પેપર ખરીદ્યાનોટો પર RBI અને ભારત લખેલી ગ્રીન કલરના સિક્યોરિટી થ્રેડ પેપર મેડ ઇન ચાઈના ડોટ કોમ (MADEINCHAINA.COM) અને અલિબાબા ડોટ કોમ (ALIBABA.COM) જેવી વેબસાઈટ પર ચાઈનીઝ એજન્ટોનો સંપર્ક કરી અલી પે નામથી પેમેન્ટ ગેટ-વે મારફતે પૈસા મોકલી સિક્યોરિટી થ્રેડ પેપર મંગાવ્યા હતા. આ પેપર સ્ટેશનરીની આડમાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 6:00 am

ખેડાવાલાએ CMને વખાણ્યા, કોંગ્રેસવાળા ઊંચા-નીચા થયા:સાંભળો, લોકસભામાં અમરેલીના સાંસદનું કડકડાટ હિન્દી; જયંતિ રવિ અધિકારીઓનાં ફેવરિટ બની ગયાં!

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 6:00 am

ગુજરાતમાં બેઠાં-બેઠાં રાજસ્થાનની યુુનિ.ની LLB ડિગ્રી અપાવી દેતા એજન્ટો:2.80 લાખ હપ્તેથી ચૂકવો, 60 દિવસમાં સર્ટિફિકેટ ઘરે, ભાસ્કર રિપોર્ટરે વિદ્યાર્થી બની ભાંડો ફોડ્યો

ગુજરાતમાં વકીલાત કરવા માટે LLBની ડિગ્રી વેચાઈ રહી છે અને એ પણ હપ્તેથી. જાણે કોઈ મકાન-મિલકતના હપ્તા ભરતા હોવ એવી રીતે EMI પર રૂપિયા ચૂકવો અને દેશની નામાંકિત યુનિવર્સિટીની ડિગ્રી મેળવો. દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં સામે આવેલી હકીકત કોઈને પણ ચોંકાવી શકે છે અને એ સંભાવનાને પણ નકારી ન શકાય કે દેશની કોર્ટમાં જજ સામે ન્યાય માટે દલીલ કરનાર વકીલની ડિગ્રી જ નકલી હોય. હિડન કેમેરામાં કેદ થયેલા એજન્ટોની ગેરંટી તો એવી કે તમને પાછલા વર્ષની ડિગ્રી અપાવીશું. એટલે તમને જૂના વિદ્યાર્થી બતાવાશે અને યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ પર રોલનંબર નાખવાની 2016, 2017 જેવા વર્ષમાં ભણ્યા હોય એવો તમારો તમામ ડેટા પણ દેખાશે. એટલે એજન્ટની ભાષામાં કહી તો એકદમ જેન્યુઇન કામ. અમને જાણકારી મળી કે ગુજરાતના મોટા શહેરોમાં કેટલાક એજન્ટો એક્ટિવ છે. જે કોઈપણ વર્ષ માટે ગમે તે કોર્સની ડિગ્રી અપાવી શકે છે. ડિગ્રી પ્રમાણે બધાનો ભાવપત્રક જુદો હોય. તમે માગો એ ડિગ્રી ગણતરીના દિવસોમાં આવી જાય અને એ પણ યુનિવર્સિટી માન્ય. ચોંચાવનારી વાત તો એ પણ છે કે જ્યારે વેરિફિકેશન થાય તો પણ ખબર ન પડે એ વાતની પણ ગેરંટી. આ વાત અમારા માટે ખરેખરમાં આંચકાજનક હતી. એટલે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું. અમને એક મોબાઇલ નંબર મળ્યો હતો. અમે પોતાની ઓળખ વિદ્યાર્થી તરીકે આપીને એકેડમીનો સંપર્ક કર્યો. ફોન પર અમારી વાતચીત હિરલ નામની એક યુવતી સાથે થઈ. તેણે ગ્રેજ્યુએશન ક્યારે પૂરું કર્યું, કઈ ડિગ્રી મેળવવી છે એ વિશે પૂછ્યું. અમે LLBની ડિગ્રી લેવાની તૈયારી દર્શાવી. આ વાતચીત દરમિયાન જ હિરલને વિશ્વાસ આવી ગયો. એટલે આગળની ચર્ચા માટે તેણે રૂબરૂ મુલાકાત કરી લેવા પર ભાર આપ્યો. પ્રાથમિક પૂછપરછથી અમને પણ ખ્યાલ આવી ગયો કે અહીંયાં ખૂબ મોટાપાયે ગેરરીતિ ચાલી રહી છે, એટલે અમે પણ રૂબરૂ મિટિંગ માટે તૈયાર થઈ ગયા. હિરલે થોડી જ વારમાં વ્હોટ્સએપ પર અમને સરનામું અને લોકેશન મોકલી આપ્યું. ઘરે બેઠાં કાંઈ કર્યા વગર જ LLBની માર્કશીટ મેળવવા માટેની ફી લાખો રૂપિયામાં હતી. એટલે લાલચ તો એજન્ટને પણ ખરી જ! થોડા જ દિવસોમાં અમને સામેથી ફોન આવવા લાગ્યા. આખરે, હિડન કેમેરા સાથે અમે અમદાવાદના CTM વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં પહોંચી ગયા, જ્યાં મેપલ લર્નિંગ એન્ડ સ્કીલ સેન્ટર નામથી એક સંસ્થાના ઓથા હેઠળ વેચાતી ડિગ્રીની એજન્સી ચાલે છે. CTM વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સ એકદમ ખખડધજ હાલતમાં છે. જેમાં અલગ-અલગ ક્લાસિસ તેમજ હોટલ પણ ચાલી રહી છે. અમે અમને અપેલા સરનામા પ્રમાણે ત્રીજા માળે પહોંચી ગયા. ઓફિસમાં પહોંચતા જ આસપાસ લાગેલા પોસ્ટર પરથી ખ્યાલ આવી ગયો કે અહીંયાં માત્ર LLB જ નહીં, બીજા ઘણા બધા કોર્સ ચાલે છે. જેમ કે સિક્કીમ રાજ્યમાંથી ધોરણ 10 અને 12ની પરીક્ષા પાસ કરો, બેચલર ઓફ આર્ટ્સ, બેચલર ઓફ કોમર્સ અને સાયન્સના પણ બોર્ડ લાગેલા હતા. આ ઉપરાંત નર્સિકના અલગ-અલગ કોર્સની પણ જાહેરાત હતી. આ બધુ જોતા એટલું તો સ્પષ્ટ થઈ ગયું કે શિક્ષણના નામે અહીંયાં ખૂબ મોટો ગોરખધંધો ચાલી રહ્યો છે. અમે ઓફિસમાં પહોંચ્યા, થોડવાર પછી એક યુવતી રિસેપ્શન પર આવી અને ત્યાં આવવા માટેનું કારણ પૂછ્યું. અમે “LLBની ડિગ્રી માટે આવ્યા છીએ” એમ કહેતા જ એક ફોર્મ કાઢ્યું. નામ અને કેટલે સુધી ભણ્યા છો એવા બે જ ટૂંકા સવાલ કરીને ફોર્મ ભરવા માટે આપી દીધું. આ ફોર્મ એકેડમીનું પોતાનું હતું. કોઈ કોલેજ કે યુનિવર્સિટીનું નહોતું. જેમાં આ એકેડમી ISO 9001:2015 સર્ટિફિકેટ માન્ય હોવાનું લખ્યું હતું. ફોર્મમાં એકદમ સામાન્ય વિગતો ભરવાની હતી. જેમ કે નામ, સરનામું, કયા કોર્સમાં એડમિશન લેવું છે. આવી વિગતો ભરીને ફોર્મ આપી દીધું. યુવતીએ ફોર્માંથી કેટલીક વિગતો એક રજિસ્ટરમાં નોંધી અને પછી ફોર્મ લઈને એક ચેમ્બરમાં જતી રહી. લગભગ 45 સેકન્ડમાં એ પરત આવી અને અંદર બેસેલા મેડમની મળી લેવા માટે કહ્યું. હવે પછીનો જે ઘટનાક્રમ હતો એ એકદમ નાટકીય હતો. કારણ કે અમારી મુલાકાત ચેમ્બરમાં બેસેલી એક મહિલા સાથે થઈ, જેણે પોતાની ઓળખ લક્ષ્મી તરીકે આપી. જેણે પોતાના પહોંચ અને સેટિંગ કેટલા ઊંચા પાયે છે તેનો પરચો થોડી જ મિનિટોમાં આપી દીધો. આ બધુ જ હિડન કેમેરામાં કેદ થતું ગયું. વાંચો, લક્ષ્મી સાથેની વાતચીતના કેટલાક અંશો… લક્ષ્મી, સેન્ટર સંચાલક- કયા વર્ષમાં 12મુ ભણ્યારિપોર્ટર- 2016માં મારું ગ્રેજ્યુએશન પુરું થયું લક્ષ્મી, સેન્ટર સંચાલક- ક્યાંથી કર્યુંરિપોર્ટર- IGNOUમાંથી લક્ષ્મી, સેન્ટર સંચાલક- કોઈના મારફતે કરાવ્યું હતું કે જાતે જ કર્યું હતું?રિપોર્ટર- જાતે જ કર્યું હતું. લક્ષ્મીનો આ સવાલ ઘણું કહી જતો હતો. કારણ કે તેના માટે સેટિંગથી પરીક્ષા પાસ કરવી કે ડિગ્રી મેળવવી એકદમ સામાન્ય વાત લાગી. એટલું જ નહીં, અમે કોઈ માગણી કરી નહીં તેમ છતાં IGNOUમાંથી ડિગ્રી મેળવી આપવાની સંભાવતા બતાવી દીધી. લક્ષ્મી, સેન્ટર સંચાલક- ટ્રાય કરીશ કદાચ IGNOU સીટ હશે તો… મારી પાસે આવે છે IGNOUનું. તમારે LL.B કરવું છે ને?રિપોર્ટર- હા લક્ષ્મી, સેન્ટર સંચાલક- પણ અત્યારે મારી પાસે જોધપુર નેશનલ યુનિવર્સિટીનું છે. આટલું બોલતાની સાથે જ તે એક કોરું કાગળ તેમજ પેન લઈ અને કાગળ પર કેટલીક માહિતી ટપકાવવા લાગી. થોડુંક કાંઈ લખીને પછી અમારી સામે લેમિનેશન કરેલી 4 માર્કશીટ મૂકી દીધી. એટલે કે અમને અન્ય કોઈ વ્યક્તિની માર્કશીટ નમૂનારૂપે જોવા માટે આપી દીધી. લક્ષ્મી, સેન્ટર સંચાલક- તમને માર્કશીટ, ડિગ્રી, પ્રોવિઝનલ, માઇગ્રેશન મળી જશે. અમે આશ્ચર્યચકિત થઈને લેમિનેશન કરેલી 4 માર્કશીટની વિગતો વાંચવાની શરૂ કર્યું. લક્ષ્મી, સેન્ટર સંચાલક- એક B.Scની હશે અને એક BAની હશે. તમારું (સર્ટિફિકેટ) પણ આવું જ આવશે. બસ ફરક એટલો રહેશે કે તમારા માર્ક્સ, સબ્જેક્ટને એ બધુ LLBનું હશે. તમારું 2016નું છે. તો 2017ની ગણતરીએ ચાલવું હોય અથવા તો 2021થી પણ કરી શકો છો. તમારે LLB કરીને શું કરવાનું છે? રિપોર્ટર- મારા કુટુંબમાં ઓલરેડી 3 લોકો છે. મને LLBમાં પહેલાથી રસ છે. 2016 પછી પોલીસની ભરતી આવી ત્યારે પરીક્ષા આપવા માટે કાયદાના વિષય પર વાચ્યું હતું. મારે સરકારી નોકરીમાં જવું છે. એટલે કાયદા સહાયકની ભરતી આવે એમાં કામ લાગે. લક્ષ્મી, સેન્ટર સંચાલક- આ તો હું તમને કરાવી દઈશ. પણ વકીલાત માટે બાર કાઉન્સિલનું રજિસ્ટ્રેશન કરાવવું પડે. એટલે એની પરીક્ષા આપવી પણ ફરજિયાત થઈ ગઈ છે. એટલે એ તૈયારી રાખજો. કારણ કે અહીંયાં રજિસ્ટ્રેશન થઈ જશે એનો કોઈ ઈશ્યુ નથી. રિપોર્ટર- મને શંકા હતી એટલે મારે પર્સનલી આવવું પડ્યું. ભલે મને જોધપુર યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું પણ મારું નામ એમની વેબસાઇટ પર હશે? કેમ કે (ભવિષ્યમાં) વેરિફિકેશન તો થશે જ. એમાં કોઈ ઇશ્યુ આવે તો? લક્ષ્મી, સેન્ટર સંચાલક- ગૂગલ પર જઈને જોધપુર નેશનલ યુનિવર્સિટી સર્ચ કરો. વેબસાઇટ ખુલે એટલે સ્ટુડન્ટ ઝોન પર જઈને રિઝલ્ટ પર ક્લિક કરો, ત્યાં તમને તમારું રિઝલ્ટ મળી જશે. ક્યાંય પણ તમે આગળ રિઝલ્ટ આપો એટલે તમારું વેરિફિકેશન RTI મારફતે થાય. તો એ તમારું થઈ જશે. રિપોર્ટર- મને આ જ શંકા છે.લક્ષ્મી, સેન્ટર સંચાલક- એ તો તમારી શંકા દૂર કરીને. શંકા તો હોવી જ જોઈએ. ના હોય તો મતલબ નથી. જો તમારે આગળ ક્યાંક જવું હોય, પાસપોર્ટ વેરિફિકેશન છે કે કાંઈ પણ કરાવવું હોય તો એ પણ થઈ જશે. એનો કોઈ જ ઈશ્યુ આવશે નહીં. મારો વિચાર એવો છે કે તમારું 2016થી ગોઠવું. (ગ્રેજ્યુએશન પુરું કર્યું એ વર્ષ) એટલે તમે 2016 પછી શું કર્યું એ મને એક્ટિવિટી કહી દો. રિપોર્ટર- મેં 2016 પછી પોલીસની ભરતીની તૈયારી કરી. લક્ષ્મી, સેન્ટર સંચાલક- ઓકે. એના સિવાય કશું નહીં ને? જેમ કે કોલેજમાં એડમિશન લીધું હોય, એકાદ વર્ષ કર્યું હોય અને પછી મુકી રાખ્યું હોય. કેમ કે મારે આમાં ક્લિયર જોઈએ. રિપોર્ટર- ના… બીજે ક્યાંય હું ભણ્યો નથી. લક્ષ્મી, સેન્ટર સંચાલક- કેમ કે આ ડિગ્રી કેવી છે એ તમને પણ ખબર છે. જેની પાસે પ્રોપર નોલેજ હોય એ જ ડિગ્રી લઈ શકે. નોલેજ ન હોય તો મતલબ નથી. ગૂગલ પર તમે આ બધું મુકશે એટલે તમારું આવી જ જશે. એટલે હું તમારી 2017-18ની એક્ટિવિટી પુછું છું. અમારી વાતચીત આગળ ચાલી. આ મિટિંગ પહેલાં હિરલ નામની એક એજન્ટે અમને વ્હોટ્સએપ પર લિંક મોકલી હતી, જેનાથી જોધપુર નેશનલ યુનિવર્સિટીની વેબસાઇટ પર જઈને ઓનલાઇન ડિગ્રી ચેક કરી શકાય. અમને વિશ્વાસ અપાવવા માટે લક્ષ્મીએ પણ આ જ લિંક ખોલી. ટેબલ પર જે માર્કશીટ હતી એમાંથી ત્રીજા વર્ષની માર્કશીટ પર લખેલો રોલ નંબર નાખ્યો અને અમારી નજર સામે જ ખરાઈ કરાવી કે રૂપિયા આપીને જે માર્કશીટ મળે છે એનો ડેટા યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ પર પણ છે. કોઈપણ વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જાય એવો ઘટનાક્રમ હતો. ટેબલ જે નકલી માર્કશીટ હતી તેનો ડેટા અમને યુનિવર્સિટીની વેબસાઇટ પર જોવા મળ્યો. જે બરોબર મેચ પર થતો હતો. છતાં ફરીથી સવાલ કર્યો કે, બેન પછી કોઈ તકલીફ નહીં થાય ને.. લક્ષ્મી, સેન્ટર સંચાલક- કાંઈ જ તકલીફ નહીં થાય, હું તમને બધુ જેન્યુઇન કરાવીશ. જેન્યુઇન છે એટલે જ ફી છે. નહીં તો કરવાવાળા 80-90 હજારમાં કરી આપે છે. મારે તો ટોટલ ફી જ 2 લાખ 80 હજાર છે. હું એનાથી ઓછું લેતી નથી અને થતું પણ નથી. કારણ કે હું કામ જેન્યુઇન કરીશ. આખુ LLB પ્રોપરલી જેન્યુઇન થઈ જશે. જો BA, LLB કરવું હોય તો 3 લાખ 10 હજાર છે. તમે ગ્રેજ્યુએટ છો એટલે 2 લાખ 80 હજાર રૂપિયામાં તમારું LLB થઈ જશે. રિપોર્ટર- મારે જોધપુર જવાનું થશે કે નહીં?લક્ષ્મી, સેન્ટર સંચાલક- કશું જ નથી કરવાનું રિપોર્ટર- મને માર્કશીટ ક્યારે મળે?લક્ષ્મી, સેન્ટર સંચાલક- પહેલા તમારે અડધી ફી એટલે કે 1 લાખ 40 હજાર ભરીને એડમિશન લેવાનું છે. પછી તમારી (માર્કશીટ બતાવતા કહ્યું) આવી સ્કેન કોપી ઓનલાઇન ફોનમાં આવશે. ત્યારે બાકીના રૂપિયા અડધા-અડધા આપવાના થશે. એટલે કે 70-70 હજારના બે હપ્તા આપવાના. રિપોર્ટર- આ બધી પ્રોસેસ કેટલા સમયમાં પુરી થઈ જાય?લક્ષ્મી, સેન્ટર સંચાલક- 60 દિવસ. મારી પાસે આ શીટ (ટેબલ પર પડેલી માર્કશીટ) સાત-આઠ દિવસ માટે જ છે. પણ બીજી યુનિવર્સિટીની શીટ પણ મારી પાસે હમણા આવશે. લક્ષ્મીએ આ બધુ સમજાવતા-સમજાવતા તમામ વિગતો કાગળ પર પણ લખતી જતી હતી. રાજસ્થાનની જોધપુર નેશનલ યુનિવર્સિટીમાંથી રૂપિયા આપીને માર્કશીટ લાવી આપવાનો પર્દાફાશ થઈ ચૂક્યો હતો. હવે અમે અન્ય યુનિવર્સિટી વિશેની ખણખોદ કરવા સવાલો પૂછવાનું શરૂ કર્યું. જેમાં લક્ષ્મીએ હિમાચલ પ્રદેશના કાંગરામાં આવેલી અર્ની યુનિવર્સિટી સાથે સેટિંગ હોવાનું પણ કબૂલી લીધું. રિપોર્ટર- તમે પ્રયાસ કરો કે IGNOUનું કાંઈ થઈ શકતું હોય. લક્ષ્મી, સેન્ટર સંચાલક- જુઓ… મારી પાસે અર્ની યુનિવર્સિટીની પણ આવવાની છે. એ યુનિવર્સિટી સારી છે. તમે આનું (IGNOUનું) કહો છો એ પૂછી જોઉં છું. રિપોર્ટર- IGNOUમાં LL.B થાય છે?લક્ષ્મી, સેન્ટર સંચાલક- એ મને નથી ખબર પણ મારી પાસે BA, B.Com કરાવ્યું છે એટલે હું પૂછી જોઉં છું. થતું હોય તો ના ક્યાં છે? એક સરખું થઈ જાય ને… જ્યારે ગુજરાતની કોઈ યુનિવર્સિટીનું સર્ટિફિકેટ લાવી આપવાની વાત કરી તો લક્ષ્મીના ચહેરાના ભાવ અચાનક બદલાઈ ગયા. એકદમ નિરાશા સાથે કહ્યું, બીજી બધી જગ્યાએ આવું થાય છે પણ ગુજરાતમાં થતું નથી. રિપોર્ટર- કદાચ આમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે ગુજરાત યુનિવર્સિટીમાંથી થાય તો…લક્ષ્મી, સેન્ટર સંચાલક- ચોખ્ખી વાત કહું! આખા ગુજરાતમાં ક્યાંય નથી થતું. ગોતી લ્યો. થાય તો મને કહી દેજો. પણ આપણું ગુજરાત સૌથી બેકાર છે. અન્ય બધી જગ્યાએ બધુ થાય છે. આપણે ફક્ત ગુજરાતમાં જ નથી થતું. કેમ અહીંયાંના લોકો બહારથી કરે છે? કારણ કે ગુજરાતમાં થતું જ નથી ને. કોઈ જગ્યાએ શક્ય જ નથી. રિપોર્ટર- જોધપુર યુનિવર્સિટી ચાલુ તો છે ને.. લક્ષ્મી, સેન્ટર સંચાલક- ચાલુ છે. એટલે તો કહું છું. ગૂગલ સર્ચ કરો તમને બધુ મળી જશે. વેબસાઇટ પર જાવ, યુનિવર્સિટી UGC અપ્રૂવ્ડ તો છે જ. સાથે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પણ અપ્રુવ કરેલું છે, તો જ LL.B કરી શકો ને. “હું તમારું 2017થી (એડમિશન) લઈશ. જો શક્ય હશે તો 2016થી પણ લઈ લઈશ. મારે તમારી લાસ્ટ માર્કશીટ જોવી પડશે. એટલે એડેકેમિક યર ક્યારે પુરું થાય છે. એ પ્રમાણે હું યુનિવર્સિટીને વર્ષ મૂકવાનું કહી દઈશ. એ લોકો લગાવી દેશે. આપણે કહેવું પડે કે કયું વર્ષ જોઈએ, એ પ્રમાણે થાય. મારી પાસે બીજી શીટ પણ આવશે, તમારે ઉતાવળ નથી કરવાની. BA, LLB તો હું જોધપુરથી જ કરાવું છું પણ….” વાત કરતા-કરતા લક્ષ્મીએ એક વેબસાઇટ ખોલી, જે હિમાચલ પ્રદેશના કાંગરામાં આવેલી અર્ની યુનિવર્સિટીની હતી. તેના પર વિગતો વાંચવા માંડી. તેનો દાવો હતો કે અર્ની યુનિવર્સિટીનું સર્ટિફિકેટ પણ તે અપાવી શકે છે. એટલે LLB માટે અમને જોધપુર યુનિવર્સિટી ઉપરાંત અર્ની યુનિવર્સિટીનો વિકલ્પ પણ આપ્યો. લક્ષ્મી, સેન્ટર સંચાલક- તમારા ગ્રેજ્યુએશનમાં કેટલા ટકા છે?રિપોર્ટર- 50 ટકા છે. લક્ષ્મી, સેન્ટર સંચાલક- 45થી ઓછા એ લોકો ચલાવી નહીં લે. લક્ષ્મીએ પોતાનો નંબર આપ્યો અને આગળની અપડેટ માટે મેસેજ કરવા કહ્યું. સાથે જ આ નંબર પર માર્કશીટ આપવા પણ કહ્યું. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે અમે પરિવારને બતાવવા માટે અન્ય વિદ્યાર્થીની માર્કશીટનો ફોટો પાડવાની પરવાનગી માગી તો તેમણે એક વિદ્યાર્થીની માર્કશીટની પીડીએફ ફાઇલ જ વ્હોટ્સએપ મારફતે મોકલી દીધી. રિપોર્ટર- આ છોકરાઓ ગુજરાતના જ છે?લક્ષ્મી, સેન્ટર સંચાલક- હા.. હમણાં જ એડમિશન થયું છે અને એ લોકો માર્કશીટ લેવા આવશે. એટલે જ ટેબલ પર પડી છે. નહીં તો પીડીએફ જ બતાવું. એમનું પ્રોવિઝનલ આવવાનું બાકી છે એટલે ફોન નથી કર્યો. તમારે બાર કાઉન્સિલની પરીક્ષા આપવાની હોય એટલે જોધપુરથી NOC જોઈશે, મારે એની પણ વાત કરવી પડશે. રિપોર્ટર- એટલે અહીં NOC માગે જ છે?લક્ષ્મી, સેન્ટર સંચાલક- માગે ન માગે, આપણે લઈ લેવાનું. માગે ન માગે તેલ લેવા ગયું. માગે તો કહી દેવાનું લે. લગભગ મેં પહેલાં કઢાવ્યું હતું એટલે યાદ છે. સિક્કીમ સ્કિલ યુનિવર્સિટીમાંથી મેં BA, LL.B કરાવ્યું હતું ત્યારે મેં NOC લીધી હતી. એટલે હું સરને આજે વાત કરી લઉં કે આમાં કયા-કયા કાગળ ઉપયોગમાં આવે. રિપોર્ટર- કુલ કેટલી માર્કશીટ આવશે 6?લક્ષ્મી, સેન્ટર સંચાલક- ના… વર્ષ પ્રમાણે છે એટલે 3 આવશે. પ્રોવિઝનલ અને ડિગ્રી સર્ટિફિકેટ પણ આવશે. કદાચ રજિસ્ટ્રેશન માટે કોઈ કાગળ માગે તો આપણે પાછળથી યુનિવર્સિટીમાંથી લઈ શકીએ છીએ. એક છોકરાએ મારી પાસે ટ્રાન્સસ્ક્રિપ્ટ સર્ટિફિકેટ માગ્યું છે. રિપોર્ટર- હા… વિદેશ જવા માટે જોઈએ છે. મારે પણ મેળ પડે તો વિદેશ જવાની ગણતરી ખરી.લક્ષ્મી, સેન્ટર સંચાલક- તો આ સર્ટિફિકેટ તમારે પણ લઈ જ લેવાનું. મળી જ જાય. રિપોર્ટર- ફોરેનની યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય તો વાંધો ન આવે ને.લક્ષ્મી, સેન્ટર સંચાલક- મળી જાય ને. એ લોકો શું માગે આપણને ખબર ન હોય પણ યુનિવર્સિટીમાંથી મળી જાય. કોઈ ઈશ્યુ જ નથી. રિપોર્ટર- વિદેશની યુનિવર્સિટીમાં એડમિશન કરાવી શકો છો?લક્ષ્મી, સેન્ટર સંચાલક- મારી પાસે એક કોન્ટેક્ટ છે, હું તમને કહીશ. રિપોર્ટર- મારી ગણતરી જર્મની જવાની છે. લક્ષ્મી, સેન્ટર સંચાલક- હા તો મને કહેજો… હું તમને કરાવી દઈશ. રિપોર્ટર- મારે ડોક્યુમેન્ટ શું આપવાના?લક્ષ્મી, સેન્ટર સંચાલક- 10, 12ની માર્કશીટ, આધાર કાર્ડ, ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ અને ફોટો. આ બધુ પીડીએફમાં આપજો. આટલી વાતચીત પરથી સ્પષ્ટ ખ્યાલ આવી ગયો કે અમદાવાદમાં એજ્યુકેશન એકેડમીના નામે ચાલતા આ સેન્ટરના તાર રાજસ્થાન જ નહીં, હિમાચલ પ્રદેશ અને સિક્કીમ સુધી ફેલાયેલા છે. લોકો આવે છે, મોં માગ્યા રૂપિયા આપીને ડિગ્રી લે છે અને કોઈને કાનોકાન ખબર નથી પડતી. ઇન્વેસ્ટિગેશનના આગળના પડાવમાં અમે જોધપુર નેશનલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેમના તરફથી કોઈ પ્રતિઉત્તર મળ્યો નથી. આ ગંભીર પ્રકરણમાં તેમનો જવાબ આવશે તો આ સમાચારમાં ઉમેરી દેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 6:00 am

બાળકોને મળ્યું શાળાનું નવું ભવન:તાજપુરકુઈ પ્રા.શાળામાં રૂ. 22 લાખના ખર્ચે નવું ભવન તૈયાર

પ્રાંતિજના તાજપુરકુઈની પ્રાથમિક શાળામાં છેલ્લા લાંબા સમયથી જર્જરિત ઓરડાના કારણે બાળકોના શિક્ષણ પર જોખમ તોળાઈ રહ્યું હતું, તે બાળકો માટે હવે 22 લાખના ખર્ચે અત્યાધુનિક સુવિધા ધરાવતું નવું શાળા ભવન તૈયાર થયું છે. વાલીઓની જાગૃતતા અને એસ.એમ.સી. (SMC) સભ્યોની સતત રજૂઆતો બાદ તંત્ર જાગ્યું છે, જેના કારણે હવે ભૂલકાંઓને ભયમુક્ત વાતાવરણમાં અભ્યાસની નવી દિશા મળી છે. જર્જરિત ઓરડાને કારણે નાના ભૂલકાંઓ વાલીઓના ઘરે બેસીને અભ્યાસ કરવા મજબૂર હતા.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 5:54 am

પ્રજાજન પરેશાન:પ્રાંતિજની મજરા ચોકડી પાસે ગટરના અધૂરા કામથી લોકોને ભારે હાલાકી

પ્રાંતિજ તાલુકાના મજરા ચોકડી પાસે અધૂરા ગટરના કામથી વેપારીઓ અને વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. સર્વિસ રોડ પર ઠેર-ઠેર ભયાનક ખાડાઓ પડી ગયા છે. રાત્રિના સમયે વાહનચાલકો માટે આ રોડ પરથી પસાર થવું જોખમી બન્યું છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો અવારનવાર સ્લિપ ખાઈ રહ્યા છે. ખરાબ હાલત અને ઉડતી ધૂળને કારણે આસપાસના વેપારી વર્ગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રાહકો દુકાનો સુધી પહોંચી શકતા નથી. જેનાથી ધંધા પર માઠી અસર પડી રહી છે. સ્થાનિક રહીશો અને વેપારી મંડળની એક જ ઉગ્ર માંગ છે કે તંત્ર દ્વારા સત્વરે આ ગટર લાઇનનું યોગ્ય રિપેરિંગ કરવામાં આવે અને સર્વિસ રોડને ફરીથી વાહન વ્યવહાર લાયક બનાવવામાં આવે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 5:52 am

નકલી ઘી ઝડપાયું:રાયગઢમાંથી 50 હજારનું નકલી ઘી પકડાયું

હિંમતનગરના રાયગઢમાં ભઠ્ઠા પર નકલી ઘી બની રહ્યાની બાતમી આધારે ફૂડ વિભાગે અંદાજે 50હજારથી વધુની કિંમતનો શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જથ્થો સીઝ કરી કાર્યવાહી હાથ ધરી હતી. ​ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર બાબુભાઇ.એમ. ગણાવા દ્વારા ​મળતી વિગતો અનુસાર રાયગઢમાં પટેલ ફળીમાં રહેતા ખુબીરામ શિવચરણલાલ શર્મા (ફૂડ બિઝનેસ ઓપરેટર)ના રહેણાંક મકાન પર ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા માહિતીને આધારે રેડ કરી તપાસ હાથ ધરાઇ હતી. આ તપાસ દરમિયાન મકાનમાંથી શંકાસ્પદ ઘી અને બનાવટી ઘી બનાવવામાં વપરાતા એડલ્ટ્રન્ટ (ભેળસેળ માટેના પદાર્થો) સોયાબીન તેલ, વનસ્પતિ તેલ તથા વ્હાઈટ પાવડરનો જથ્થો મળતાં શંકાસ્પદ ઘી ના સેમ્પલ લઈ 15 કિલોના પેકિંગમાં આવતાં સોયાબીન તેલના ડબ્બા કુલ 39 કિલો કિં. 15,600, 88 કિલો વનસ્પતિ ઘી કિં.16,808, 23 કિલો વ્હાઈટ પાવડર કિં. 6900 અને બનાવટી લૂઝ ઘી 58 કિલો કિં. 10,788નો જથ્થો જપ્ત કર્યો હતો. ફૂડ વિભાગના અધિકારીના જણાવ્યાનુસાર લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જો નમૂના સબ-સ્ટાન્ડર્ડ કે અનસેફ જાહેર થશે તો સંબંધિત ફૂડ બિઝનેસ ઓપરેટર સામે કાયદેસરની કોર્ટ કાર્યવાહી અને દંડની પ્રક્રિયા હાથ ધરાશે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 5:52 am

ખેડૂતોની માંગ:મોડાસા, બાયડ અને માલપુર પંથકના વાંઘા, ચેકડેમોની સફાઈ કરો

મોડાસા, માલપુર અને બાયડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા વાંઘા અને ચેકડેમોની સિંચાઈ વિભાગ દ્વારા વર્ષો વિતવા છતાં જંગલ કટીંગ અને માટીકામ તેમજ ચેકડેમોની મરામત ન કરતાં ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. બાયડ તાલુકાના ગોતાપુર અને માલપુર તાલુકાના ઉભરાણ પંથકમાં આવેલા વાંઘા અને ચેકડેમો જંગલ જેવા વિસ્તારમાં ફેરવાયા હોવાની ખેડૂતોની બૂમ ઉઠી છે. સિંચાઈ વિભાગ દ્વારા આ વિસ્તારમાં સુજલામ સુફલામ યોજનામાં વાંઘા ઊંડા કરવાની કામગીરી કરવા માંગ ઉઠી છે. ગોતાપુરના લાલાભાઇ રામાભાઇ ભરવાડ, સુરેશભાઈ ભરવાડ, ઉભરાણના ધીરાજી છબીલજી પગી અને જશુભાઈ મોહનભાઈ ભોઈ સહિતના ખેડૂતોએ જણાવ્યું હતું કે બાયડ અને માલપુર સિંચાઈ વિભાગ દ્વારા વર્ષો અગાઉ તેમની જમીન પાસેથી પસાર થતાં વાંઘામાં ચેકડેમ બાંધવામાં આવ્યા હતા. આ ચેકડેમ બનાવ્યા બાદ સિંચાઈ વિભાગ દ્વારા સમય અંતરે ચેકડેમમાં ભરાતી માટી સાફ ન કરતાં અત્યારે વાંઘામાં ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 5:49 am

મુસાફરોની સુવિધામાં વધારો:હિંમતનગર ST ડેપોથી ઈન્દોર અને જોધપુર માટે નવી બસો શરૂ કરાઇ

હિંમતનગર એસટી ડેપો દ્વારા આંતરરાજ્ય મુસાફરીને વધુ સુવિધાજનક બનાવવા ઈન્દોર અને જોધપુર રૂટ પર નવી અત્યાધુનિક બસો સેવામાં મૂકી છે. ચૈત્ર નવરાત્રિના પવિત્ર પ્રથમ દિવસે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ આ નવી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.​રાજ્ય સરકાર દ્વારા એસ ટી વિભાગીય કચેરીને કુલ 11 નવી બસો ફાળવાઇ હતી. જે પૈકી હિંમતનગર ડેપોને 4 નવી બસો પ્રાપ્ત થઈ છે. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ઈન્ચાર્જ ડેપો મેનેજર એન. કે. પટેલ અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ​નવી બસોની સુવિધાથી હિંમતનગર અને આસપાસના વિસ્તારોના લોકોને અન્ય રાજ્યોમાં જવા માટે ખાનગી લક્ઝરી બસો પર નિર્ભર રહેવું નહીં પડે. જોધપુર અને ઈન્દોરનું ભાડું 450‎

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 5:45 am

હવામાન વિભાગની આગાહી:આજે સાબરકાંઠા- અરવલ્લીમાં ‎હળવો વરસાદ પડવાની શક્યતા‎

ઉત્તર ગુજરાતમાં ગુરૂવાર સવારે સાડા 4 કલાકની આસપાસ અચાનક પ્રતિ કલાકે 18 થી 22 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનું શરૂ થયું. પવન સાથે ધૂળ ભળતાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઇ હતી. ભર ઊંઘમાં લોકો હતા અને અચાનક બારી-બારણાં અને ઘરની અંદરની ચીજવસ્તુઓ ખખડવાના અવાજે ભયનો માહોલ સર્જ્યો હતો. બહુચરાજી નજીક હાંસલપુર ગામે કાચા મકાન પર પતરાં અને ઇંગલો પડતાં 65 વર્ષિય લીલાબેન ઠાકોરનું મોત થયું હતું, તેમના પતિ રામજીજી ઠાકોર ગંભીર રીતે ઇજા થઇ હતી. દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર પછી ફરી 15 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાયો હતો. સાંજે 6 વાગ્યા સુધીમાં 10 તાલુકામાં નોંધણી લાયક વરસાદ વરસ્યો હતો. જ્યારે અનેક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં વરસ્યા હતા. વાવાઝોડા સાથે થયેલા વરસાદના કારણે કાપણી આરે આવેલા પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે શુક્રવારે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 5:43 am

ખીમાણા-દિયોદર રોડ પર ખોડા પાસે અકસ્માત સર્જાયો:સામ-સામે બે કાર અથડાતાં યુવતીનું મોત, 3ને ઇજાઓ

કાંકરેજ તાલુકાના ખોડા ગામ પાસે ખીમાણા-દિયોદર હાઈવે પર બુધવારે સવારે બે કાર વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં એક યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દિયોદરના રૈયા ગામના નાનજીભાઈ વિરભણભાઈ પટેલની કાર નં.જીજે--08-આર-8423માં બેસી વસંતબેન માનસુંગભાઈ મકવાણા(રહે.ખોડા તા.કાંકરેજ), પવિબેન ઠાકોર(રહે.વડા તા.ઓગડ) અને રણછોડભાઈ પટેલ (રહે.રૈયા) પાટણ તરફ જઈ રહ્યા હતા.તે દરમિયાન સામેથી આવતી કાર આરજે 22-યુએ-7825 સાથે ટક્કર થઈ હતી. અકસ્માત બાદ તાત્ક લિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને ખીમાણા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. વસંતબેનની હાલત ગંભીર હોવાથી તેમને પાલનપુર રિફર કરવામાં આવ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેમનું મોત નિપજ્યું હતું. બલાભાઈ મકવાણાની ફરીયાદના આધારે શિહોરી પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 5:38 am

બ્રેક ફેલ થતાં અકસ્માત સર્જાયો:પાલનપુર હનુમાન ટેકરી પર ટ્રક ચાલકે ચાર વાહનો અડફેટે લીધા

સતત વાહનોથી ધમધમતા હનુમાન ટેકરી ચાર રસ્તા પર ગુરુવારે સવારે ટ્રક ચાલકે મુખ્ય હાઇવે થી ટ્રકને અચાનક જ સર્વિસ રોડ તરફ વાળી દીધી હતી જેના લીધે સર્વિસ રોડ પર પાર્ક કરેલી થાર ગાડી, ક્રેટા, રિક્ષા અને ઓલા ટુ વ્હીલરને અડફેટે લઈ નુકસાન પહોંચાડ્યું હતું. સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી. પ્રત્યક્ષ દર્શીઓએ જણાવ્યું કે સવારે 9:00 વાગ્યાના અરસામાં ટ્રકચાલકે હનુમાન ટેકરીના બમ્પ કૂદાવ્યા બાદ અચાનક બ્રેક ફેલ થઈ ગયો હોય તે રીતે ટ્રક ઉભી રાખવા માટે સર્વિસ રોડ તરફ વાળી દીધી હતી અને સર્વિસ રોડ પર પાર્ક કરેલા થાર, ક્રેટા, રીક્ષા અને ઈ બાઇક સહિત જુદા જુદા વાહનોને ટક્કર મારી દીધી હતી. સદનસીબે વાહનોમાં કોઈ બેસેલું ન્હોતું એટલે કોઈને ઈજા થઈ નહોતી. ઘટના બાદ તુરંત લોકો એકઠા થઈ ગયા હતા ટ્રક ચાલકને નીચે ઉતારીને પોલીસ બોલાવીને તેને સોંપી દીધો હતો. ટ્રકની ડ્રાઇવર સાઈડના આગળના ભાગે પણ થોડુંક નુકસાન થયું હતું.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 5:32 am

ભાસ્કર ખાસ:વ્યક્તિ પોતે અકસ્માત માટે જવાબદાર હોય, તે સામા‎પક્ષ પાસેથી વળતર મેળવવા માટે હકદાર નથી : કોર્ટ‎

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ માટે પાટણની મોટર અકસ્માત વળતર ટ્રિબ્યુનલે એક લાલબત્તી સમાન ચુકાદો આપ્યો છે. પોતાની જ બેદરકારીથી અકસ્માત નોતરી વળતર મેળવવાની આશા રાખતા રિક્ષાચાલકને કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. જજ મહંમદ ઈરફાન એ. શેખે સ્પષ્ટ કર્યું કે જે વ્યક્તિ પોતે અકસ્માત માટે જવાબદાર હોય, તે સામા પક્ષ પાસેથી વળતર મેળવવા હકદાર નથી. પાટણના ઘીમટો વિસ્તારમાં રહેતા દિનેશભાઈ અમથાભાઈ દેસાઈ ગત 10 ફેબ્રુઆરી 2020ના રોજ પોતાની રિક્ષા લઈને રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની રિક્ષા સામેથી આવતી બાઈક સાથે અથડાતા તેમને કાંડાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત રિક્ષાચાલકે બાઈક સવાર અને વીમા કંપની સામે ₹રૂ.2 લાખના વળતરની માંગણી સાથે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જોકે, વીમા કંપનીની દલીલો અને પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પંચનામા અને ચાર્જશીટ મુજબ, રિક્ષાચાલક દિનેશભાઈ પોતે જ રોંગ સાઈડમાં અને પૂરઝડપે રિક્ષા ચલાવી રહ્યા હતા, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે રિક્ષાચાલક વિરુદ્ધ જ ગુનો નોંધ્યો હતો. કોર્ટે તમામ પુરાવાઓ ધ્યાને લઈ નોંધ્યું કે અકસ્માત માટે અરજદાર પોતે જ 100% જવાબદાર હોવાથી તેમને કોઈ વળતર મળી શકે નહીં. આ ચુકાદો વાહનચાલકોને શિસ્તબદ્ધ ડ્રાઈવિંગનો સંદેશ આપે છે. નિયમો તોડે ત્યારે અકસ્માત થાય તો ચાલક પોતે જવાબદારઅદાલતે નોંધ્યું હતું કે અકસ્માત માટે મોટરસાયકલ સવાર નહીં, પરંતુ રિક્ષાચાલક પોતે જવાબદાર હતો. જ્યારે કોઈ વ્યક્તિ ટ્રાફિકના નિયમો (જેમ કે રોંગ સાઈડ ડ્રાઈવિંગ) તોડે છે, ત્યારે તે અકસ્માત માટે પોતે જ જવાબદાર ઠરે છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 5:24 am

5 તાલુકાઓમાં ભારે તારાજી સર્જાઈ:વાવાઝોડાથી ક્યાંક છાપરાં ઉડ્યા તો ક્યાંક વીજ પોલ ધરાશાયી

જિલ્લામાં ગત રાત્રે ફૂંકાયેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી વરસાદે 5 તાલુકાઓમાં ભારે તારાજી સર્જી છે. સાંતલપુરના રણમાં અગરિયાઓના રહેણાંક છાપરાં અને સોલાર પેનલોને વ્યાપક નુકસાન થયું છે, તો હારિજ-રાધનપુર હાઈવે પર હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે. જગતના તાતની મહેનત પર પાણી ફરી વળ્યું છે. તંત્ર દ્વારા હાલ સમારકામની કામગીરી ચાલુ છે. હારિજમાં પાર્ક છોટા હાથી પર લાકડાનો શેડ પડ્યો હારિજ દૂધ શીત કેન્દ્રની સામે પાર્ક કરવામાં આવેલી છોટા હાથી ગાડી પર વાવાઝોડાને કારણે બાજુમાં રહેલો લાકડાનો ભારે શેડ તૂટી પડ્યો હતો. બ્રાહ્મણવાડા-મંડલોપ રોડ પર વૃક્ષ પડતા વાહનવ્યવહાર ઠપ ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડાથી મંડલોપ ગામને જોડતાં માર્ગ પર બે વિશાળ વૃક્ષો રસ્તાની વચ્ચે ધરાશાયી થયા હતા. ચાણસ્મામાં વીજ પોલ ધરાશાયી ચાણસ્મા પંથકમાં વાવાઝોડાને કારણે વીજ કંબોઈ, રાણાસણ અને કેસણી સહિતના વિસ્તારોમાં વીજ લાઈનના 5 વીજ પોલ ધરાશાયી થયા છે અને 17 લોકેશન પર વાયર તૂટી ગયા છે. લાલપુર અને જાખેલમાં પતરા ઊડ્યા સમી તાલુકાના લાલપુર અને જાખેલ ગામમાં મળી કુલ 8 જેટલા મકાનોના સિમેન્ટના પતરાં અને નળિયા ઉડી જતાં ગરીબ પરિવારો ઘરવિહોણા બન્યા છે. નાયતામાં 18 પતરા ઉડી ગયા સરસ્વતી તાલુકાના નાયતા ગામમાં ખેડૂત કેલજીજી ઠાકોરના ઘરના ઉપરના 18 જેટલા સિમેન્ટના પતરાં કાગળની જેમ ઉડી ગયા હતા. સરસ્વતી તાલુકાના વાગડોદ, કોઈટા અને અબલુવા પંથકમાં ખેતરમાં કાપણી કરીને તૈયાર રાખેલા ઘઉં, એરંડા અને તમાકુનો પાક વરસાદમાં પલળી જતાં મજૂરી ધૂળમાં મળી છે. ખેડૂતોએ રાત્રિના સમયે ખેતરોમાં દોડી જઈ માલ બચાવવા મથામણ કરી હતી, છતાં મોટાપાયે નુકસાન નોંધાયું છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 5:09 am

વાલ્મિકી સમાજ દ્વારા ઐતિહાસિક પહેલ:પાટણમાં પ્રથમવાર વાલ્મિકી બંધુઓ રામનવમીના રથનું પ્રસ્થાન કરાવશે

પાટણ શહેરમાં આપણું મન અયોધ્યા આપણું શહેર અયોધ્યાના સંકલ્પ સાથે રામનવમીના દિવસે ભવ્ય શોભાયાત્રા સમાજિક સમરસ્તાના સંકલ્પ સાથે નીકળશે. પ્રથમવાર વાલ્મિકીબંધુઓ દ્વારા રથનું પ્રસ્થાન કરાવવા આવશે જે અંતર્ગત શહેરના જાહેર માર્ગો ઉપર ભગવી ધજાઓ અને હોર્ડિંગસ લગાવવાની કામગીરી શરૂ થઈ છે. રામનવમીની તૈયારની ભાગરૂપે પાટણ શહેરના મુખ્ય માર્ગો સજ્જ થયા છે. કેસરી ધ્વજાથી પાટણ રામમય બન્યું છે.વિશ્વ હિંદુ પરિષદ દ્વારા રામનવમી નિમિત્તે 39મી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આપણું મન અયોધ્યા આપણું શહેર અયોધ્યાના સંકલ્પ સાથે નીકળનારી આ રથયાત્રા બપોરે છિડિયા દરવાજા સ્થિત શ્રી ગામ રામજી મંદિરથી વાલ્મિકી બંધુઓના હસ્તે સામાજિક સમરસતાના ભાગરૂપે રથનું દિવ્ય પ્રસ્થાન કરાશે. પાટણ શહેરમાં 26મી માર્ચ ગુરુવારના રોજ નિકળનારી ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રામાં પ્રથમવાર બાહુબલી હનુમાનજીના દર્શનનો લ્હાવો મળશે. જેની ઊંચાઈ 10 ફૂટ હશે.વિશેષ આકર્ષણ તરીકે પ્રભુ શ્રીરામલલ્લાની ચાંદીની ચરણપાદુકા ખાસ અયોધ્યા મોકલવામાં આવશે. જ્યાં નિજ મંદિરના કમલચરણોમાં સેવા-પૂજા થયા બાદ તેને પરત લાવી પાટણની જનતા માટે દર્શનાર્થે મૂકવામાં આવશે.​આ ભવ્ય આયોજનમાં શૌર્ય અને સંસ્કૃતિનો સંગમ જોવા મળશે.જેમાં દુર્ગાવાહિનીની 500 દીકરીઓ તલવારબાજીના કરતબ બતાવશે અને બજરંગદળના યુવાનો અખાડાના દાવપેચ રજૂ કરશે. શોભાયાત્રામાં ગુજરાતનું સુપ્રસિદ્ધ રાજકમલ બેન્ડ અને પંજાબી બેન્ડ રામભજનોની રમઝટ બોલાવશે,જ્યારે વિવિધ ધાર્મિક સંસ્થાઓના સુંદર ટેબ્લો નગરચર્યાએ નીકળશે. શહેરના ઝીણી રેત વિસ્તારમાં વાલ્મિકી સમાજ દ્વારા પાણીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ વિસ્તારમાં આવેલ રામજી મંદિરમાં રથયાત્રાની મહાઆરતી કરાશે.અને પ્રસાદનું અયોજન કરાયું છે. વિશ્વ હિંદુ પરિષદ જીતેન્દ્ર ઠાકોરે જણાવ્યું હતું કે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા નગરજનોને પોતાના મહોલ્લાઓને કેશરી ધજા-પતાકાથી શણગારે અને શોભાયાત્રાનું પુષ્પવર્ષાથી સ્વાગત કરે અને દરેક રામભક્ત સાંજે પોતાના ઘરે પાંચ દીવા પ્રગટાવી દિવાળી જેવો માહોલ બનાવે અને રાત્રે 9 કલાકે રામજી મંદિર પરિસર ખાતે આયોજિત રામખીચડીનો પ્રસાદ લેવા પધારે જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 5:04 am

સગીરા ગુમ થઈ:ધારપુર સિવિલમાંથી 14 વર્ષની કિશોરી ગુમ

સિદ્ધપુર નજીકનાં કાલેડા ગામે રહેતા મજૂર પરિવારની 14 વર્ષની દીકરી ધારપુર સિવિલમાંથી ગુમ થતા ચકચાર મચી છે. પરિવારજનો અપહરણની શંકા વ્યક્ત કરી પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. કાલેડા ગામે ઈંટોના ભઠ્ઠા પર મજૂરી કરી જીવન નિર્વાહ કરતા નન્હે જફરૂદ્દીનની પત્ની સાઇનાબેગમને પ્રસૂતિ માટે ધારપુર હોસ્પિટલમાં દાખલ કરી હતી. આ દરમિયાન, 15 માર્ચે સાંજે આશરે 6:00 સાઇનાબેગમ નવજાત બાળકીને દૂધ પીવડાવવા માટે NICU વોર્ડમાં ગયા હતા અને બહાર મોટી દીકરીને બેસાડેલી હતી. થોડીવાર બાદ પાછા ફરતા કિશોરી ત્યાંથી ગાયબ જોવા મળતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી, પરંતુ કોઈ પત્તો લાગ્યો નહોતો. અંતે પોલીસનો સહારો લીધો હતો. ફરિયાદમાં પરિવારે શંકા વ્યક્ત કરી છે કે, કાલેડા ખાતે અગાઉ રહેતો અને મૂળ ઉત્તર પ્રદેશનો યુવાન અગાઉ તેમની દીકરી સાથે મોબાઇલ પર વાતચીત કરતો હતો. તે જ તેમની દીકરીને ભેળવી લઇ ગયો હોઈ શકે છે.અગાઉ આ બાબતે યુવકને ઠપકો આપતા તે ગામ છોડી પોતાના વતન પરત ગયો હતો. પરિવારે પોતાની સગીર દીકરીના અપહરણની શંકા સાથે રણુંજ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 5:01 am

ભાસ્કર બ્રેકિંગ:25 માર્ચે પાટણનું આઇકોનિક બસ સ્ટેશન શરૂ થશે, હર્ષ સંઘવી ઉદ્ઘાટન કરશે

આગામી 25 માર્ચ હર્ષ સંઘવીના હસ્તે પાટણ નવીન બસ સ્ટેશનનું ઉદ્ઘાટન થશે. વર્ષ 2017માં જેનું ખાતમુહૂર્ત થયું હતું અને કોરોનાને કારણે જે પ્રોજેક્ટ વિલંબમાં બાદ અંતે 8 વર્ષ પછી પાટણનું નવું આઇકોનિક બસ પોર્ટ હવે તૈયાર થઈ ગયું હોય લોકો માટે ખુલ્લી મૂકાશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી પણ હાજર રહે તેવી શક્યતા છે.તેવું એસટી વિભાગના રાણકીવાવ સેન્ટ્રલ ઓફિસના અધિકારી રિતેશ સોલંકીએ જણાવ્યું હતું. નવીન બસ સ્ટેશન શરૂ થાય તે પૂર્વે ડેપો વિભાગ તેમજ ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સંચાલન અને રૂટ પર ટ્રાફિક નિયમન અંગે ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ કરી છે. આ અંગે પાટણ ડેપો મેનેજર વિપુલ રાવળે જણાવ્યું હતું કે નવું બસ સ્ટેશનનું લોકાર્પણ થશે એટલે તરત જ 100 ટકા સંચાલન બસ સ્ટેશનમાંથી જ કરાશે. અમે જરૂરી સમય અંતરે બસ લઈને રૂટ ચેક કરી લીધા છે.જેમાં પ્રાથમિક ધોરણે અવરજવરમાં રૂટ પર બસ ફેરવી અડચણરૂપ દબાણ દૂર કરી બસ સ્ટેશન વળાંકમાં રસ્તો ખુલ્લો કર્યો હોય બસને વળાંક કે યુ ટર્નમાં મુશ્કેલી સર્જાશે નહીં. સંચાલન શરૂ થયા બાદ કોઈ મુશ્કેલી સર્જાશે તો સંલગ્ન વિભાગો સાથે મળીને નિરાકરણ કરાશે. ગંદકી ન થાય માટે સ્પેશિયલ સ્ટાફનવા બસ સ્ટેશનમાં શિસ્ત જાળવવા માટે વહીવટી તંત્ર કડક બન્યું છે. જુના બસ સ્ટેશનમાં કે હાલમાં કાર્યરત વૈકલ્પિક બસ સ્ટેશનમાં સ્વચ્છતા અને ગંદકી બાબતે કોઈ ખાસ પગલાં લેવાતા નથી. પરતું નવા સંકુલમાં સ્પેશિયલ સિક્યુરિટી ગાર્ડ ગોઠવ્યા છે.જે ધૂમ્રપાન કરવા કે પાન-મસાલા ખાઈને ગંદકી કરનાર સામે સ્થળ પર જ રૂ.200 વધુ દંડનીય કાર્યવાહી કરશે. ટ્રાફિક ના સર્જાય માટે વધુ TRP પોઇન્ટ ઉભા કરાશે‎પાટણ શહેર ટ્રાફિક પીએસઆઇ રણજીત સોલંકી એ જણાવ્યું હતું કે‎એસટી ડેપોના કાર્યરત અને લઈ જાહેરનામું જે આવશે એની‎અમલવારી કરાશે અને શહેરના ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે વધુ‎ડીઆરબીની માંગણી કરાશે. ખાસ કરીને રેલવે સ્ટેશન સ્વામી‎વિવેકાનંદની પ્રતિમા નજીક બે ટીઆરપી હતા એની જગ્યાએ ત્રણ‎ટીઆરપી કરી યોગ્ય ટ્રાફિક મેનેજમેન્ટ કરાશે. બાકીનું રૂપ ઉપર બસ‎કાર્યરત થશે એટલે ઓટોમેટીક ટ્રાફિક કંટ્રોલમાં આવી જશે.‎

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 5:00 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:અમેરિકા ઢીલું પડ્યું, ઈરાનના ઓઈલ પરનો પ્રતિબંધ હટાવશે; રોકાણકારો રાતા પાણીએ રડ્યા, પેટ્રોલમાં ₹10-15 વધી શકે

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ભારતમાં કાચા તેલની કિંમતમાં બમણો વધારો થવા અંગે રહ્યા. બીજા મોટા સમાચાર શેર માર્કેટમાં 22 મહિનાનો સૌથી મોટો ઘટાડો થવા અંગેના રહ્યા. બીજી તરફ, ઈરાને ખાડી દેશોના તેલ મથકો પર હુમલો કર્યો છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મથુરા-વૃંદાવન જશે. આ દરમિયાન તેઓ સંત પ્રેમાનંદજી મહારાજ સાથે મુલાકાત કરશે. કાલના મોટા સમાચારો 1. યુદ્ધના કારણે ક્રૂડ બમણું, 146 ડોલર પહોંચ્યું:પેટ્રોલ-ડીઝલ મોંઘું થઈ શકે છે; ઈરાની હુમલાથી કતાર ગેસ પ્લાન્ટ બંધ, યુરોપમાં કિંમત 30% વધી ઇરાન દ્વારા ગલ્ફ દેશોમાં એનર્જી ઠેકાણાઓ પર ફરી હુમલાઓ બાદ આજે 19 માર્ચે ગ્લોબલ લેવલે ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસના ભાવમાં 30% સુધીનો વધારો થયો છે. યુદ્ધ શરૂ થયા પછી ભારતમાં ક્રૂડ ઓઇલના ભાવ લગભગ બમણા થઈને 146 ડોલર થઈ ગયા છે. આ વધારાથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10-15 રૂપિયાનો વધારો થઈ શકે છે. ભારત ઇરાક, સાઉદી અરેબિયા, રશિયા અને યુએઈ પાસેથી ઓઈલ ખરીદે છે. આ વિવિધ પ્રકારના ઓઈલના સરેરાશ ભાવને ઈન્ડિયન બાસ્કેટ કહેવામાં આવે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. રોકાણકારો રાતા પાણીએ રડ્યા, 12 લાખ કરોડ ધોવાયા:શેરબજારમાં 22 મહિનામાં સૌથી મોટો કડાકો; સેન્સેક્સ 2,497 પોઈન્ટ, નિફ્ટી 776 પોઈન્ટ તૂટ્યો આજે 19 માર્ચના રોજ શેરબજારમાં 22 મહિનામાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 74,207 પર બંધ થયો, જેમાં 2,497 પોઈન્ટ (3.26%)નો ઘટાડો થયો. તેવી જ રીતે, નિફ્ટીમાં પણ 776 પોઈન્ટ (3.26%)નો ઘટાડો નોંધાયો, જે 23,002 પોઈન્ટથી નીચે આવી ગયો. જેના કારણે એક જ દિવસમાં રોકાણકારોના અંદાજે 12 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. આ પહેલા, 4 જૂન, 2024ના રોજ સેન્સેક્સ 5.74% ​​ઘટ્યો હતો. આજે બેંકિંગ અને ઓટો શેરોમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. ભૂરાજકીય તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં ફુગાવો વધવાનું જોખમ રહેલું છે. આનાથી કોર્પોરેટ નફામાં ઘટાડો થઈ શકે છે. પરિણામે, રોકાણકારો તેમના શેર વેચવાનું શરૂ કરે છે અને તેમની મૂડીને સુરક્ષિત રોકાણના સ્થળોએ ફરીથી ફાળવવાનું શરૂ કરે છે, જેના પરિણામે બજારમાં ઘટાડો થાય છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ઈરાનના ઓઇલ પરથી અમેરિકા પ્રતિબંધ હટાવી શકે છે:ઓમાને કહ્યું- ઈરાન સાથે યુદ્ધ ટ્રમ્પની સૌથી મોટી ભૂલ, અમેરિકાની વિદેશ નીતિ પાટા પરથી ઉતરી ગઈ યુદ્ધ વચ્ચે અમેરિકા ઈરાની તેલ પરનો પ્રતિબંધ હળવો કરી શકે છે. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે ફોક્સ ન્યૂઝને જણાવ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્ર ઈરાનમાંથી પહેલાથી જ ઈરાનનું જે ઓઈલ બહાર જઈ રહ્યું છે તેના પરના પ્રતિબંધોને અસ્થાયી રૂપે હટાવી શકે છે. ઈરાન પર અમેરિકાના પ્રતિબંધો હોવા છતાં ઈરાન ગુપ્ત રીતે અથવા ખાસ માધ્યમથી કેટલાક દેશોને તેલ વેચવાનું ચાલુ રાખે છે. હવે, અમેરિકા બજારમાં પહેલાથી જ પ્રવેશતા ઓઈલ પરના પ્રતિબંધોને અસ્થાયી રૂપે હળવા કરવાનું વિચારી રહ્યું છે, જેનાથી પુરવઠો મુક્તપણે વધી શકે છે અને કિંમતો ઘટી શકે છે. દરમિયાન ઓમાને યુદ્ધ અંગે અમેરિકા પર આકરા પ્રહારો કર્યા છે. ઓમાનના વિદેશ પ્રધાન બદ્ર અલ-બુસૈદીએ ઈરાન સાથેના યુદ્ધને ટ્રમ્પ વહીવટીતંત્રની સૌથી મોટી ભૂલ ગણાવી છે. તેમણે કહ્યું કે આ યુદ્ધ વૈશ્વિક અર્થતંત્ર અને પ્રાદેશિક સુરક્ષાને નુકસાન પહોંચાડી રહ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. આસામ ચૂંટણી: ભાજપે 88 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી:CM હિમંતા સાતમી વખત જાલુકબારીથી ચૂંટણી લડશે; ગઈકાલે કોંગ્રેસમાંથી BJPમાં જોડાયેલા સાંસદ બોરદોલોઈને પણ ટિકિટ ભાજપે ગુરુવારે આસામ વિધાનસભા ચૂંટણી માટે પોતાની પહેલી યાદી જાહેર કરી. તેમાં CM હિમંતા બિસ્વ સરમા સહિત 88 નામોનો સમાવેશ થાય છે. ગઈકાલે ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના સાંસદ પ્રદ્યુત બોરદોલોઈને પણ દિસપુરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. હિમંતા તેમની પરંપરાગત બેઠક જાલકુબારીથી ચૂંટણી લડશે. હિમંતા સાતમી વખત આ બેઠક પરથી ચૂંટણી લડશે. આ દરમિયાન, 25 દિવસ પહેલા ભાજપમાં જોડાયેલા ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખ ભૂપેન બોરાને પણ ટિકિટ આપવામાં આવી છે. ભાજપે ગુરુવારે કેરળ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. તેમાં 39 ઉમેદવારોના નામનો સમાવેશ થાય છે. પાર્ટીએ અત્યાર સુધીમાં જાહેર કરાયેલી બે યાદીમાં 86 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. સરકારે કહ્યું- ઓનલાઈન સિલિન્ડર બુકિંગ વધીને 94% સુધી પહોંચ્યું:પૅનિક બુકિંગમાં ઘટાડો; અમેરિકાથી LPGનો સપ્લાય થઈ રહ્યો છે, કિંમતોમાં વધારો નહીં કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોએ ગુરુવારે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી. જેમાં પશ્ચિમ એશિયામાં તણાવને કારણે ઓઇલ અને ગેસ સંકટ પર વર્તમાન પરિસ્થિતિની માહિતી આપવામાં આવી. વિદેશ મંત્રાલય (MEA)માં સંયુક્ત સચિવ (ગલ્ફ) અસીમ મહાજને જણાવ્યું કે આ માત્ર ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર વૈશ્વિક સમુદાય માટે પરીક્ષાનો સમય છે. પેટ્રોલિયમ મંત્રાલયમાં સંયુક્ત સચિવ (માર્કેટિંગ અને ઓઇલ રિફાઇનરી) સુજાતા શર્માએ જણાવ્યું કે યુદ્ધને કારણે LPGની સ્થિતિ ચિંતાનો વિષય બની રહી છે. જોકે, દેશમાં કોઈપણ LPG ડિસ્ટ્રીબ્યુટર પાસે સિલિન્ડરની અછત નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 6. જામનગરમાં 66KVનો વીજપોલ ધરાશાયી : રાજકોટમાં ભર ઉનાળે 1.5 ઇંચ વરસાદ, સુરતમાં હાઈ-વે પર વિઝિબિલિટી ઝીરો, વાહનો થંભી ગયા રાજ્યના હવામાન વિભાગ દ્વારા બે દિવસ કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે આજે 19 માર્ચના રોજ વહેલી સવારથી જ અમદાવાદ સહિતના શહેરમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે. આશરે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો છે. ખૂબ જ જોરદાર પવન ફૂંકાવાના કારણે ધૂળ ઉડતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક જગ્યાએ ઝાડ તૂટી પડવાની પણ ઘટના સામે આવી છે. બપોર બાદ રાજકોટ, જામનગર, ખંભાળિયા પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજકોટમાં કરાનો વરસાદ પડ્યો છે. તો જામનગરમાં પણ તોફાન જોવા મળી રહ્યું છે. રાજ્યના છુટાછવાયા સ્થળોએ વરસાદ અને તોફાની પવનથી દિવેલા, ઈસબગુલ, વરિયાળી, જીરૂ, કેરી સહિતનાા પાકોને ભારે નુકસાન પહોંચતાં ખેડૂતોને આર્થિક ફટકો લાગ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. સત્યમ યોગ ફાઉન્ડેશનની ફોર્ચ્યુનરમાંથી નકલી નોટો મળી, પ્રદીપ ગુરુજીની ધરપકડ:ચીનથી મટિરિયલ મગાવી ક્રિપ્ટોમાં પેમેન્ટ, પ્રિન્ટરમાં ચેટ GPTથી સેટિંગ કરતા, સુરતમાં 2 કરોડ છાપ્યા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી રૂપિયા 2 કરોડથી વધુની કિંમતની બનાવટી ચલણી નોટો સાથે 7 શખ્સોની ધરપકડ કરી છે. આ તમામ નોટો 500 રૂપિયાના દરની છે. સુરતમાં નકલી નોટો બની હતી અને અમદાવાદમાં હેરફેર માટે આવી હતી. હાલ પોલીસે તમામની ધરપકડ કરી આ બનાવટી ચલણી નોટો મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમા નકલી નોટોની હેરાફેરી થતી હતી. નોટોની સપ્લાય માટે કાર પર ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા અને આયુષ મંત્રાલયના નામનો ઉલ્લેખ થતો હતો. ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ અને સુરતમાં કાર્યવાહી કરી હતી. જેમાં અમદાવાદમાંથી 2.10 કરોડની અને સુરતમાં 80 લાખની નકલી નોટો કબ્જે કરી છે. આ મામલે સત્ય યોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુજીની પણ ધરપકડ કરાઈ છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : યુપી, દિલ્હી અને હરિયાણામાં ભારે વાવાઝોડું-વરસાદ:દિલ્હી એરપોર્ટ પર 22 ફ્લાઇટ્સ ડાયવર્ટ; રાજસ્થાનમાં કરા પડવાની ચેતવણી, હિમાચલમાં હિમવર્ષા વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : અમેરિકાના વિદેશ-રક્ષા મંત્રીના ઘર ઉપર શંકાસ્પદ ડ્રોન દેખાયા:સુરક્ષા મામલે ઇમરજન્સી મીટિંગ બોલાવવામાં આવી; બંને નેતાઓને શિફ્ટ કરવા પર વિચારણા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ઓડિશા હોસ્પિટલ અગ્નિકાંડમાં 4 અધિકારીઓ સસ્પેન્ડ:વિપક્ષે દેખાડો ગણાવ્યો, અકસ્માતમાં મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા 12 થઈ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : નબળું પડી ગયેલું ઈરાન યુદ્ધને લાંબું શા માટે ખેંચી રહ્યું:શરણાગતિનો ઇનકાર, યુદ્ધને મોંઘું બનાવીને દુશ્મનને ઝુકાવવાના પ્રયાસ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : યુદ્ધના કારણે ક્રૂડ બમણું, 146 ડોલર પહોંચ્યું:પેટ્રોલ-ડીઝલ મોંઘું થઈ શકે છે; ઈરાની હુમલાથી કતાર ગેસ પ્લાન્ટ બંધ, યુરોપમાં કિંમત 30% વધી વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : અગરકરે 2027 વર્લ્ડકપ સુધી કરાર વધારવાની માગ કરી:BCCIને વિનંતી કરી, 2023માં પદ સંભાળ્યું હતું; પહેલા પણ એક્સટેન્શન મળી ચૂક્યું છે વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : 500 વર્ષ પછી ચૈત્ર નવરાત્રિ પર 'ચતુર્ગ્રહી યોગ'નો મહાસંયોગ!:મેષ-મિથુન રાશિના જાતકોને મળશે અણધાર્યા લાભની તક વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ નીતિશ કુમારના કાર્યક્રમમાં બટાકા અને ડુંગળી લૂંટાઈ ગયા મુંગેરમાં નીતિશ કુમારની સમૃદ્ધિ યાત્રા પૂરી થતાં જ તેમના સ્વાગત માટે રાખવામાં આવેલા શાકભાજી લૂંટાઈ ગયા. લોકો બટાકા, ડુંગળી, લીંબુ અને રીંગણા લેવા તૂટી પડ્યા અને થોડીવારમાં જ બધી સજાવટ ગાયબ થઈ ગઈ. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર સિરીઝ : આસારામ આશ્રમમાં બાળકોને ઘેનની દવા અપાતી હતી?: આશ્રમના લોકો કયું ગંદું સિક્રેટ છુપાવી રહ્યા હતા? જુઓ ‘આસારામ’ સિરીઝનો નવો શૉકિંગ એપિસોડ 2. બ્લેકબોર્ડ: મીઠામાં જન્મ્યા, મીઠામાં જ મરીશું:ઓછું ખાઉં છું જેથી દિવસમાં શૌચાલય ન જવું પડે- બાળકો ખેતરમાં જન્મ્યા, પીઠ પર ઉછરી રહ્યા છે 3. પારકી પંચાત : પોલીસે ગુનેગારોનો દમ કાઢી નાખ્યો!:મુંડન કર્યું, જાહેરમાં લંગડાતા ચાલ્યા; BJPના નવા લિસ્ટમાં ફરી રાજકોટની બાદબાકી! 4. બોલિવૂડ ક્રાઇમ ફાઇલ્સ: જિયા ખાન કેસ: પ્રેમ, દગો અને આત્મહત્યા!:મૃત્યુના અડધા કલાક પહેલા એક્ટ્રેસ બોયફ્રેન્ડના ઘરે ગઈ હતી; ડાયરીના 6 પાનાંએ બોલિવૂડને ચોંકાવ્યું 5. ભાસ્કર એક્સક્લૂસિવ: એશિયાના સૌથી મોટા નોઈડા એરપોર્ટનો ફર્સ્ટ લુક:ગંગા ઘાટ જેવો એન્ટ્રી ગેટ, હવેલી જેવું આર્કિટેક્ચર, ચહેરો સ્કેન થતા જ એન્ટ્રી 6. જોબ સાથે ચૈત્રી નોરતાંનું વ્રત અઘરું લાગે છે?:ચાલુ ઓફિસે ઊંઘ-નબળાઈ ન આવે એ માટે 9 દિવસનો ખાસ ડાયટ પ્લાન; સ્વાદને ચટકારો આપતા ફૂડથી રહો દૂર 7. 'તમારા સસરાએ બીજા લગ્ન કર્યા હોય તો શું ખબર પડે?':અમેરિકાના નાગરિક વડોદરામાં કડવા અનુભવથી ત્રાસી ગયા, BOBના મેનેજરના ઉદ્ધત જવાબ; સરકારી ઓફિસના ધક્કા કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ: મકર રાશિ માટે ગ્રહોનું ગોચર અનુકૂળ, તુલા-ધન રાશિના જાતકોને મળશે સારા સમાચાર; કન્યા રાશિના લોકોના અટકેલા કામ પૂર્ણ થશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 5:00 am

ડોરેમોન કાર્ટૂનના દિગ્દર્શક શિબાયામા સુતોમૂનું 84 વરસની વયે નિધન

20 વરસ સુધી શૃતે એનિમેશનનો ડાયરેકટર રહ્યો હતો મુંબઇ - બાળકોની લોકપ્રિય એનિમેશન સીરીઝ ડોરેમોન કાર્ટૂનના દિગ્દર્શક શિબાયામા સુતોમૂનું ફેંફસાના કેન્સરના કારણે ૮૪ વરસની વયે નિધન થઇ ગયું છે. ૨૦ વરસ સુધી તે આ સીરીઝ સુધી જોડાયેલા હતા. તેમના નિધનના સમાચાર અજિયા-ડો એનિમેશ વર્કને ૧૭ માર્ચના ઘોષણા કરી હતી કે, તેમનું નિધન ૬ માર્ચના રોજ થઇ ગયું હતું.તેઓ જાપાનમાં ફાધર ઓફ નેશનલ એનિમેશન તરીકે જાણીતા હતા.

ગુજરાત સમાચાર 20 Mar 2026 5:00 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:વાવાઝોડાથી 10 તાલુકામાં પાકને નુકસાન,એક મોત‎

ઉત્તર ગુજરાતમાં ગુરૂવાર સવારે સાડા 4 કલાકની આસપાસ અચાનક પ્રતિ કલાકે 18 થી 22 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનું શરૂ થયું. પવન સાથે ધૂળ ભળતાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઇ હતી. ભર ઊંઘમાં લોકો હતા અને અચાનક બારી-બારણાં અને ઘરની અંદરની ચીજવસ્તુઓ ખખડવાના અવાજે ભયનો માહોલ સર્જ્યો હતો. લગભગ દોઢથી બે કલાક સુધી આ સ્થિતિ રહ્યા બાદ સ્થિતિ સામાન્ય થઇ હતી. આ દરમિયાન બહુચરાજી નજીક હાંસલપુર ગામે કાચા મકાન પર પતરાં અને ઇંગલો પડતાં 65 વર્ષિય લીલાબેન ઠાકોરનું મોત થયું હતું, જ્યારે તેમના પતિ રામજીજી ઠાકોર ગંભીર રીતે ઇજા થઇ હતી. પાટણ જિલ્લામાં સંખારી, અબિયાણા, સમીના બે ગામોમાં અંદાજે 30 થી વધુ કાચા મકાનોના પતરાં કે છત તૂટીને ઉડી ગયા હતા. ભારે પવન ફૂંકાતાં ખેતરોમાં ઉભા એરંડા અને ઘઉંના પાકો પડી જવા સાથે કેટલાક ખેતરોમાં ઘઉંની લણણી કરીને ઢાંકીને મૂકી હોવા છતાં ઉડી જતા તેમજ ઘઉં ખરાબ થતા નુકસાન થયું હતું. તંત્ર દ્વારા ગ્રામ્ય સ્તરે વાવાઝોડાંની અસર અને નુકસાનીનો અંદાજ મેળવવા તલાટીઓ મારફતે રિપોર્ટ માંગતા સર્વેની કામગીરી શરૂ કરાઇ છે. દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર પછી ફરી 15 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાયો હતો. સાંજે 6 વાગ્યા સુધીમાં 10 તાલુકામાં નોંધણી લાયક વરસાદ વરસ્યો હતો. જ્યારે અનેક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં વરસ્યા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે શુક્રવારે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના છુાટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. જ્યારે દિવસ-રાતના તાપમાનમાં વધુ 2-3 ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. પતરા ઊડતાં જીવ બચાવવા ઘરના ખૂણામાં ભરાઈ રહેવું પડ્યુંસાંતલપુરના અબિયાણા ગામના ચૌહાણ કુબેરે ધ્રૂજતા અવાજે જણાવ્યું કે, વહેલી સવારે પવન એટલો તેજ હતો કે પવનથી ઊંઘ પતરાં કાગળની જેમ ઉડવા લાગ્યા. ઊંઘ ઉડતા જ અમે જીવ બચાવવા ઘરના એક ખૂણે ભેગા થઈ બેસી રહ્યા હતા. બાજુમાં પરિવારોના છાપરાં ઊડતાં જોઈ લાગતું હતું કે માથે આવે નહીં. હાલ ખુલી આભ થઈ જતા કાળઝાળ ગરમી અને આગામી વરસાદના ભય વચ્ચે ઘરમાં હોવા છતાં છત વગર સૌ નોંધારા બન્યા છીએ. લાલપુરમાં પતરાં ઊડતાં કાટમાળ માથે પડતા મહિલાને ઇજાલાલપુર ગામમાં સવારે વાવાઝોડા દરમિયાન 5 જેટલા ઘરોના પતરા ઉડ્યા હતા. જેમાં ઠાકોર વાસમાં ઠાકોર જકશીબેન રાયચંદભાઈના ઘરના પતરા ઉડતા ઉપર રહેલ ઇંટ અને નેવા જેવો કાટમાળ માથે પડતા પગ અને માથાના ભાગ સામાન્ય ઇજાઓ પહોંચતા ઇજાગ્રસ્ત થતા સારવાર લેવાની ફરજ પડી હતી. જિલ્લામાં વાવાઝોડાથી થયેલ નુકસાન વરસાદની સ્થિતિ (મીમીમાં)

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 4:56 am

હિંસક જૂથ અથડામણ સર્જાઈ:કુકરવાડામાં અદાવતમાં બે જૂથો બાખડ્યા, પાંચને ઇજા

વિજાપુર તાલુકાના કુકરવાડા ગામે જૂની અદાવતને પગલે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. ઘટનામાં SRP જવાન પર જીવલેણ હુમલો તેમજ સામા પક્ષ પર તલવાર- ધારિયા વડે હુમલાના આક્ષેપો સાથે બંને પક્ષે કુલ 5 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. વસઈ પોલીસ દ્વારા બંને પક્ષોની સામસામે ફરિયાદો લઇ કુલ 7 શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. પ્રથમ પક્ષની ફરિયાદ મુજબ, જયંતિજી ઠાકોર પોતાના ઘર નજીક હતા ત્યારે SRP જવાન જિજ્ઞેશકુમાર સાથે જૂની અદાવતને કારણે બોલાચાલી થઈ હતી. બાદમાં જિજ્ઞેશકુમાર તેમના પિતા અને ભાઈ સાથે લાકડાનો ધોકો, ધારિયું અને તલવાર લઈને પરત આવ્યા હતા અને જયંતિજી તેમજ તેમને છોડાવવા આવેલા પરિવારજનો પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. બીજી તરફ, SRP જવાન જિજ્ઞેશકુમારની ફરિયાદ મુજબ, જયંતિજીએ તેમને રોકી ગાળાગાળી શરૂ કરી હતી.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 4:50 am

રોડ બન્યો હાડકાં તોડ:લાંઘણજ–ભાસરિયા માર્ગ બન્યો હાડકાં તોડ રોડ, છેલ્લા એક માસથી કામ અધૂરું

લાંઘણજથી ભાસરિયા હાઈવે સુધીનો માર્ગ હાલ વાહનચાલકો માટે હાડકાં તોડ મુસાફરી સમાન બની ગયો છે. માર્ગના નવીનીકરણ માટે આદેશ આપવામાં આવ્યા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા લગભગ એક મહિના પહેલાં કોઈ આગોતરા આયોજન વિના રોડની સપાટી ઉખાડી ખરબચડી કરી દેવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ કામ અધૂરું જ મુકાતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હાલ રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થઈ ગયું છે અને સતત ઉડતી ધૂળને કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ખાસ કરીને ટૂ-વ્હીલર અને રિક્ષા ચાલકો માટે આ માર્ગ જોખમી બન્યો છે. ઊંડા ઘસરકાઓને કારણે સ્લિપ થવાના બનાવોમાં વધારો થયો છે, જ્યારે અનેક વાહનોના સ્પેરપાર્ટ્સ તૂટી રહ્યા છે. સતત ઝટકાઓના કારણે મુસાફરોને કમર અને મણકાની તકલીફો પણ થવા લાગી છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે હોળીના તહેવાર બાદ મજૂરોની અછતનું બહાનું આપી કામ અટકાવી દેવામાં આવ્યું છે, જેના કારણે માર્ગની સ્થિતિ વધુ ખરાબ બની છે. આ મામલે સામાજિક કાર્યકર તથા વકીલ કૌશિક પરમારે કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. તેમણે બેજવાબદાર કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની અને રોડનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવાની માંગ ઉઠાવી છે.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 4:48 am

લીંચ ગામમાં ગ્રાહકના સ્વાંગમાં ધોળેદહાડે લૂંટ:વેપારી ફ્રીજમાંથી આઈસ્ક્રીમ કાઢવા નમતાં ગઠિયા 3.90 લાખની બે ચેઈન તોડી ફરાર

મહેસાણા તાલુકાના લીંચ ગામે ધોળેદહાડે લૂંટની ઘટના બની છે. બસ સ્ટેન્ડ પાસે પાર્લર ચલાવતા વેપારી ફ્રીજમાંથી આઈસ્ક્રીમ કાઢવા નીચે નમતાં બે ગઠિયા તેમના ગળામાંથી રૂ.3.90 લાખની કિંમતની 6 તોલા સોનાની બે ચેઈન તોડી ભાગી ગયા હતા. આ મામલે લાંઘણજ પોલીસે ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. લીંચ ગામે તોતર માતાના મંદિર પાસે રહેતા અને બસ સ્ટેન્ડ પાસે શિવ પાર્લર ચલાવતા ભરતજી રામસંગજી ઠાકોર મંગળવારે સાંજે દુકાને હાજર હતા. ત્યારે એક બાઈક પર બે શખ્સો આવ્યા હતા, જેમાં ચાલકે કાળા રંગનું ટી-શર્ટ અને હેલ્મેટ પહેર્યું હતું, જ્યારે પાછળ બેઠેલા શખ્સે સફેદ શર્ટ પહેર્યો હતો . આ શખ્સોએ વેપારી પાસે આઈસ્ક્રીમની માંગણી કરી હતી. વેપારી જેવો આઈસ્ક્રીમ આપવા માટે દુકાનની બહાર રહેલા ફ્રીઝને ખોલવા નીચે નમ્યા કે તુરંત તકનો લાભ લઈ સફેદ શર્ટ પહેરેલા શખ્સે વેપારીના ગળામાં પહેરેલી બે સોનાની ચેઈન ખેંચી લીધી હતી. વેપારી કંઇ સમજે તે પહેલાં લુટારુઓ ગણતરીની સેકન્ડોમાં જ બાઈક પર બેસીને નાસી છૂટ્યા હતા. વેપારીએ રૂ.3,90,500ની કિંમતની 6 તોલા સોનાની બે ચેઇનની લૂંટ મામલે લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 4:47 am

અનાજની ગુણવત્તા અંગે ઉઠ્યા સવાલ:મહેસાણા ઇન્દિરાનગર રાશનની દુકાનમાં ચોખામાં ધનેરાં નીકળ્યાં

એનએફએસએ રેશનકાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનોમાં મળતા અનાજની ગુણવત્તા અંગે વારંવાર સવાલો ઊભા થતા હોવા છતાં સ્થિતિમાં સુધારો જોવા મળતો નથી. ગુરુવારે મહેસાણાના ઇન્દિરાનગર વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં ચોખાના બારદાનમાં ધાનેરા (જીવાત) જોવા મળી હતી. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ રેશનકાર્ડ ધારકોને પ્રતિ વ્યક્તિ દર મહિને 3 કિલો ચોખા અને 2 કિલો ઘઉં નિઃશુલ્ક આપવામાં આવે છે. જોકે, ઇન્દિરાનગરની આ દુકાનમાં ચોખાની બોરીઓમાં તેમજ દુકાનના આસપાસ જીવાત ફરતી નજરે પડી હતી. સવારે લાભાર્થીઓને આ જ ચોખાનું વિતરણ કરવામાં આવતું હતું. દુકાન સંચાલક મયુરભાઈ રાણાએ જણાવ્યું કે, સામાન્ય રીતે સારો જ જથ્થો આવે છે, પરંતુ આ વખતે થોડા જૂના ચોખા આવ્યા હોવાની શક્યતા છે. તેમણે ધનેરા માત્ર બારદાનના ઉપરના ભાગમાં હોવાનું કહ્યું હતું, પરંતુ વાસ્તવમાં ચોખાની અંદર પણ જીવાત મોટી માત્રામાં જોવા મળી હતી.

દિવ્ય ભાસ્કર 20 Mar 2026 4:45 am