SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

33    C
... ...View News by News Source

વડોદરામાં ખોટા ફોર્મ 7 ભરવા મુદ્દે ઉગ્ર રજૂઆત:કોંગ્રેસના નેતાએ કહ્યું: ભાજપના નેતાઓએ સયાજીગંજ વિસ્તારમાં 8000 લોકોના મતદાનના અધિકારને ખતમ કરવાનો પ્રયાસ કર્યો, ચૂંટણી જીતવા હલકી કક્ષાની કામગીરી કરી, ભાજપ માફી માંગે

ભાજપના નેતાઓ દ્વારા નાગરિકોના મૂળભૂત અધિકાર મતદાનથી વંચિત રાખી ચૂંટણી જીતવા ગેરકાયદેસર રીતે મતદાર તરીકે કેન્સલ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના નેતાઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે. આ મામલે કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતે કહ્યું: ભાજપના નેતાઓએ સયાજીગંજ વિસ્તારમાં 8000 લોકોના મતદાનના અધિકારને ખતમ કરવાનો પ્રયાસ કર્યો છે. ચૂંટણી જીતવા હલકી કક્ષાની કામગીરી કરી છે, તેના માટે ભાજપ માફી માંગે અને ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી અમારી માંગણી છે. કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે, SIRની કામગીરીમાં વાંધા સૂચન માટે ગઈકાલે છેલ્લો દિવસ હતો. ભાજપના નેતાઓ દ્વારા ભારતના નિર્દોષ નાગરિકોના મતદાન કેન્સલ કરવા માટે ખોટા પુરાવા અને ખોટો ડેકલેરેશન કરીને સયાજીગંજ વિધાનસભા મત વિસ્તારમાં 8000 મતદારોના મતદાનના અધિકારને ખતમ કરવાનો પ્રયાસ કર્યો છે. લોકશાહીમાં કોઈ નાગરિકને મતદાન કરતા રોકવો મોટો ગુનો છે. ભાજપના નેતાઓ ચૂંટણી જીતવા માટે આ પ્રકારની હલકી કક્ષાની કામગીરી કરી છે. તેના માટે ભાજપ પહેલા તો માફી માંગે, PM વડાપ્રધાન મોદી, અમિત શાહ અને CM ભુપેન્દ્ર પટેલ SIRમાં આવી સૂચના કેવી રીતે આપી શકે? તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમે 108 લોકોનું લિસ્ટ લાવ્યા છીએ , અમને 100, 200 અને 500 એપ્લિકેશન કરી છે કે, આ ભાઈનું મતદાન કેન્સલ કરો. અમારી જાગૃતતાના કારણે અત્યારે તો બધું રોકાઈ ગયું છે. પરંતુ આ લોકો સામે કાયદાકીય પગલાં લેવાય, એવું ચૂંટણી પંચના નિયમોમાં લખ્યું છે. તેની જવાબદારી વડોદરા મુખ્ય ચૂંટણી અધિકારીની છે, આ પ્રકારના લોકો સામે ફરિયાદ દાખલ થાય, અને સજા પણ થાય, બે દિવસમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે મુખ્ય ચૂંટણી અધિકારી સામે પોલીસ કાર્યવાહીની માંગણી કરીશું. આજે મતદારો અન્ય આવ્યા છે અને કહ્યું છે કે, હું તો જીવતો છું, તો તમે અરજી કેવી રીતે કરી? આવા લોકો સામે પોલીસ ફરિયાદ થાય તે માટે અમે કલેક્ટરને રજૂઆત કરવા માટે આવ્યા છીએ. અરજદાર સમીર હુસૈન શેખે જણાવ્યું હતું કે, SIRના ફોર્મ 7માં એક બુથમાં 200 -200 અરજીઓ આપી છે. જેમાં કહેવાયું છે કે, આ લોકો રહેતા નથી, આ લોકો મરી ગયા છે. આવા લોકોને તમે લઈને આવ્યા છે. અને આ મામલે કલેક્ટરને રજૂઆત કરી છે. જ્યાં મુસ્લિમ મતદારો વધુ છે ત્યાં વધારે અરજીઓ કરવામાં આવેલી છે. આ મામલે અમે પોલીસ ફરિયાદ પણ કરીશું.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 1:23 pm

જામનગરમાં રાત્રે બેફામ ડ્રાઇવિંગ કરતી ટોળકી સક્રિય:શહેરીજનો ભયમાં, પોલીસ કાર્યવાહીની માંગ

જામનગરમાં મોડી રાત્રે બેફામ ડ્રાઇવિંગ કરતી 'ધૂમ ગેંગ' સક્રિય થઈ છે. ગત મંગળવારે રાત્રે 1.00 વાગ્યા પછી કેટલાક શખ્સો ટુ-વ્હીલર પર બેફામ ડ્રાઇવિંગ કરતા અને દેકારો બોલાવતા વિવિધ રસ્તાઓ પરથી પસાર થયા હતા, જેના કારણે શહેરીજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પંચેશ્વર ટાવર, સત્યનારાયણ મંદિર રોડ અને હવાઈ ચોક જેવા વિસ્તારોમાંથી સંખ્યાબંધ ટુ-વ્હીલર પર એક ટોળકી ચીચીયારીઓ પાડતી અને બેફામ ડ્રાઇવિંગ કરતી નીકળી હતી. આ વાહનચાલકો સ્પીડ બ્રેકર પરથી પણ બેફામ રીતે પસાર થતા હતા, જેનાથી પોતાના અને અન્ય લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. તેમને જાણે પોલીસ કે કાયદા વ્યવસ્થાનો કોઈ ડર ન હોય તેમ અડધી રાત્રે ઓવર સ્પીડમાં રસ્તાઓ પરથી પસાર થયા હતા. આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. લોકોની સલામતીને જોખમમાં મૂકતી આ ટોળકી સામે પોલીસે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. શહેરમાં વિવિધ પોઈન્ટ પર લગાવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરીને આ 'ધૂમ ગેંગ'ના સભ્યોને શોધી કાઢી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 1:22 pm

રૂ.2000માં એકાઉન્ટ ભાડે આપ્યું હતું:ઓસ્ટ્રેલિયામાં નોકરીની લાલચ આપી રાજકોટના ડોક્ટર સાથે રૂ.51 લાખની ઠગાઈ કેસમાં આરોપીની ધરપકડ, ડોક્યુમેન્ટ, ઓફર લેટર, વિઝાના બહાને ઓનલાઈન પૈસા પડાવ્યા

રાજકોટમાં અટલ સરોવર સામે સનરાઈઝ પાર્કમાં રહેતાં ડો.ચિન્મય પ્રકાશભાઈ ત્રિવેદી (ઉ.વ.26)ને ઓસ્ટ્રેલિયાની હોસ્પિટલમાં નોકરીની લાલચ આપી સાયબર ગઠિયાઓએ રૂ.50.75 લાખ પડાવી લીધા કેસમાં સાયબર ક્રાઇમ પોલીસે આરોપી વિવેક કુસવાહ કલ્લુ કુસવાહ (ઉ.વ.20)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપીના એકાઉન્ટમાં ફરિયાદીના રૂપિયા 1.50 લાખ જમા થયા હતા જેના માટે તેને રૂપિયા 2000 કમિશન મળ્યું હતું. રાજકોટ સાયબર ક્રાઇમ એસીપી ચિંતન પટેલએ જણાવ્યું હતું કે, રાજકોટના ફરિયાદી ડો. ચિન્મય ત્રિવેદીએ નોકરી માટે ઓસ્ટ્રેલિયાની રોયલ એડીલેઈટ હોસ્પિટલમાં મેડિકલ રિસર્ચ આસિસ્ટન્ટ માટે જવાનું હોવાથી પરીક્ષા આપી હતી. પાસ થનાર વિદ્યાર્થીઓનું એએમસી ઓસ્ટ્રેલીયા-2025 ડ્રીમ કમ ટુ નામનું વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. જેમાં રોયલ એડીલેઈટ હોસ્પિટલમાં જોબ માટે જાહેરાત આવી હતી અને તેમાં જણાવેલા મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરતાં તેને હોસ્પિટલ વિશે માહિતી આપી ડોક્યુમેન્ટસ મગાવ્યા હતા. જેની ફી પેટે 2100 ઓસ્ટ્રેલીયન ડોલર (રૂ.1.20 લાખ) ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં ઓફર લેટર મોકલ્યો હતો તેમા જણાવેલી ફી 28,400 ઓસ્ટ્રેલીયન ડોલર (રૂ.16.50 લાખ) પણ અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સ્કર કર્યા હતા. ત્યાર પછી હોસ્પિટલના મેઈલ આઈડીમાંથી સીટ કન્ફર્મ થઈ ગયાનું આરોપીએ જણાવાયું હતું. સાથો સાથ પ્લાનિંગ બફર અને એપ્લિકેશન એન્ડ ફોરવર્કીંગ માટે 12,879 ઓસ્ટ્રેલીયન ડોલર (રૂ.7.50 લાખ)ની માગણી કરતા ફરિયાદીએ તે રકમ પણ ઓનલાઈન ટ્રાન્સફર કરી હતી. આ પછી ડો.જોશુઆ દ્વારા ઓસ્ટ્રેલીયાના વીઝા એજન્ટ ડેનિયલનો મોબાઈલ નંબર અપાતા તેની ઉપર સંપર્ક કરતાં બધા ડોકયુમેન્ટસ માગ્યા હતા. જે આપી દેતાં ત્યાંની કોમોન વેલ્થ બેન્ક ઓફ ઓસ્ટ્રેલીયામાં તેનું બેન્ક ખાતું ખોલાવ્યું હતું. વીઝા અને બેન્ક વેરીફિકેશન માટે મિનિમમ બેલેન્સ રાખવાના બહાને 41,000 ઓસ્ટ્રેલીયન ડોલર (રૂ.24 લાખ)ની માગણી કરતા તે રકમ પણ ભારતના જુદા-જુદા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી. આરોપીને રૂપિયા 2000નું કમિશન મળ્યું હતું આ પછી બેન્ક એકાઉન્ટની માહિતી માટે બેન્કના મોબાઈલ નંબર અને ઈ-મેઈલથી સંપર્ક કરતાં તેના નામનું કોઈ એકાઉન્ટ ઓપન નહીં થયાની માહિતી મળી હતી. તે સાથે જ રોયલ એડિલેઈડ હોસ્પિટલનો સંપર્ક કરતાં ફ્રોડ થયાનું જાણવા મળ્યું હતું જેથી સાયબર ક્રાઇમ હેલ્પ લાઈન નંબર ઉપર ફરિયાદ કરી હતી. જેના આધારે આજે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી મધ્યપ્રદેશના આરોપી વિવેક કુસવાહ કલ્લુ કુસવાહ (ઉ.વ.20)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ આરોપીના એકાઉન્ટમાં ફ્રોડની કુલ 1.50 લાખ રકમ ટ્રાન્સફર થઇ હતી જેના બદલામાં આરોપીને રૂપિયા 2000નું કમિશન મળ્યું હતું. આ ઉપરાંત અન્ય આરોપીઓની સંડોવણી અંગે સાયબર ક્રાઇમ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 1:22 pm

પંચમહાલ ભાજપના નવા હોદ્દેદારોનું સન્માન:જિલ્લા પંચાયત ખાતે સમારોહ યોજાયો

પંચમહાલ જિલ્લા ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોનો સન્માન સમારોહ જિલ્લા પંચાયત ખાતે યોજાયો હતો. ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં તાજેતરમાં થયેલી નવી વરણી બાદ ગોધરા તાલુકાના હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન, જિલ્લા પંચાયત, પંચમહાલ દ્વારા આયોજિત કરાયો હતો.આ સમારોહમાં પંચમહાલ જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ, ઉપપ્રમુખ સરદારસિંહ પટેલ, પરેશ ચોહાણ, કિજલબેન સંઘાડા, મણીબેન અને હર્ષદભાઈ મહેરા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, જિલ્લાના વિવિધ મોરચાના તાલુકા હોદ્દેદારો અને તમામ નવનિયુક્ત પદાધિકારીઓનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે એ.પી.એમ.સી. ગોધરાના ડિરેક્ટર તરીકે બિનહરીફ ચૂંટાઈ આવેલા માલવદીપસિંહ રાઉલજી (પિન્ટુ બાપુ)નું વિશેષ સન્માન કરાયું હતું. તેમને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.સન્માન સમારંભમાં જિલ્લા પ્રમુખ રેણુકાબેન ડાયરા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અરવિંદસિંહ પરમાર અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ કુમારી કામિનીબેન સોલંકી સહિત જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તેમણે નવનિયુક્ત હોદ્દેદારોને નવી જવાબદારીઓ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને પાર્ટીના વિકાસ માટે શુભેચ્છાઓ આપી હતી. કાર્યક્રમમાં ભાજપ સંગઠનની મજબૂતી પર ભાર મૂકવામાં આવ્યો હતો. નવનિયુક્ત હોદ્દેદારોને તેમની નવી ભૂમિકામાં સફળતા મળે તેવી કામના વ્યક્ત કરવામાં આવી હતી. આશા વ્યક્ત કરાઈ હતી કે તેઓ પાર્ટીના વિકાસ અને જનસેવાના કાર્યોમાં સક્રિયપણે જોડાશે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 1:17 pm

સુરતના સંવેદનશીલ એરિયામાં પોલીસનું ડ્રોનથી સર્વેલન્સ:ત્રણ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધર્યું, 78 શંકાસ્પદોમાંથી 12ની અટકાયત; 2 તડીપારને ઝડપ્યા

સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે એક સુઆયોજિત કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં ટેકનોલોજી અને માનવબળનો સમન્વય જોવા મળ્યો હતો. પોલીસની ટીમો જ્યારે જમીન પર 100થી વધુ પ્લાસ્ટિકના ઝૂંપડાઓમાં તપાસ કરી રહી હતી ત્યારે આકાશમાં ડ્રોન કેમેરા સતત નજર રાખી રહ્યા હતા. આ ડ્રોન સર્વેલન્સનો મુખ્ય હેતુ એ હતો કે ગીચ વિસ્તારોમાં તપાસ દરમિયાન કોઈ પણ અસામાજિક તત્વ પોલીસને જોઈને નાસી ન જાય. ઝૂંપડપટ્ટી અને શંકાસ્પદો પર વોચપોલીસે ખાસ કરીને ભેસ્તાનના સંવેદનશીલ ગણાતા 3 જેટલા મોટા ઝૂંપડપટ્ટી વિસ્તારોને ટાર્ગેટ કર્યા હતા. અહીં રહેતા લોકોની ઓળખની ખાતરી કરવા માટે કુલ 78 શંકાસ્પદ ઇસમોને ચેક કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસે ડ્રોન દ્વારા એ પણ સુનિશ્ચિત કર્યું હતું કે ઝૂંપડાઓની આસપાસની ખુલ્લી જગ્યાઓમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ તો નથી ચાલી રહી ને? બુટલેગરો અને હિસ્ટ્રીશીટરો વિરુદ્ધ કાર્યવાહીગુનાખોરીના ગ્રાફને નીચે લાવવા માટે પોલીસે લિસ્ટેડ ગુનેગારો પર પકડ મજબૂત કરી હતી. આ ઓપરેશનમાં 12 પ્રોહી બુટલેગરો અને 06 હિસ્ટ્રીશીટરોને શોધીને તેમની હાલની પ્રવૃત્તિઓ અંગે પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉપરાંત, 4 ટપોરી ગણાતા ઇસમોને પણ ચેક કરવામાં આવ્યા હતા. પોલીસની આ આક્રમકતાને કારણે ગુનેગારોમાં ફફડાટ ફેલાયો હતો. 2 ઇસમો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી કોમ્બિંગ દરમિયાન પોલીસને અનેક સફળતા મળી હતી. જેમાં જી.પી. એક્ટ કલમ-135 હેઠળ 10 કેસ, પ્રોહિબિશન (દારૂબંધી) હેઠળ 10 કેસ અને તમાકુના નિયમોના ભંગ બદલ 6 રસીદ કાપવામાં આવી હતી. સૌથી મહત્વની વાત એ છે કે, તડીપાર કરાયેલા હોવા છતાં વિસ્તારમાં દેખાયેલા 2 ઇસમો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત, સલામતીના ભાગરૂપે 12 ઇસમોની અટકાયત કરવામાં આવી હતી. વાહન ચેકિંગ અને જાહેર સ્થળોની તપાસરસ્તાઓ પર ગુનાહિત પ્રવૃત્તિ રોકવા માટે 67 જેટલા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે જ અસામાજિક તત્વોના અડ્ડા ગણાતી 13 જેટલી ચાની ટપરીઓ અને પાન-મસાલાના ગલ્લાઓ પર પોલીસે ઓચિંતી તપાસ કરી હતી. આ ઓપરેશનમાં 18 MCR (ક્રિમિનલ રેકોર્ડ) ચેક કરવામાં આવ્યા હતા અને 03 નાસતા ફરતા આરોપીઓની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. આમ, આંકડાકીય રીતે જોઈએ તો ભેસ્તાન પોલીસે આ કોમ્બિંગ દ્વારા ગુનેગારોને સ્પષ્ટ ચેતવણી આપી છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 1:13 pm

મોરબી હત્યા કેસમાં ફર્લો રજા પરથી ફરાર આરોપી સુરતથી પકડાયો:આજીવન કેદની સજાથી બચવા જેલમાં હાજર ન થયો, પુણામાં છુપાઈને મજૂરી કરવાની ફિરાકમાં હતો

રાજકોટ મધ્યસ્થ જેલમાંથી ફર્લો રજા મેળવીને બહાર આવ્યા બાદ નિયત સમયે હાજર ન થઈ ફરાર થઈ ગયેલા ખૂની આરોપી જાબીર સિદ્દીકભાઈ પિલુડીયા (ઉં.વ. 28)ને સુરતના પુણા પાટીયા વિસ્તારમાંથી બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, મોરબીનો આ રીઢો ગુનેગાર પોતાની ઓળખ છુપાવીને સુરતમાં વસવાટ કરવાની પેરવીમાં છે. આરોપીએ 2020માં યુવકની હત્યા કરી હતીઆ કેસની વિગત એવી છે કે, આરોપી જાબીર પિલુડીયા મૂળ મોરબીનો રહેવાસી છે. 2020માં તેણે મોરબીના ઘાંચી શેરી વિસ્તારમાં નજીવી બાબતે એક યુવકની ઘાતકી હત્યા કરી હતી. મોટરસાઈકલ પાર્ક કરવા જેવી ક્ષુલ્લક બાબતે પડોશમાં રહેતા અનીશભાઈ સાથે તેનો ઝઘડો થયો હતો. આવેશમાં આવીને જાબીરે પોતાની પાસેના ચાકુ વડે અનીશભાઈ પર આડેધડ હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ કેસમાં મોરબી સેશન્સ કોર્ટે ગુનાની ગંભીરતા જોતા 8 ઓગસ્ટ, 2025ના રોજ આરોપીને આજીવન કેદની સજા અને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જેલમાંથી ફર્લો રજા લીધી અને ફરાર થઈ ગયોરાજકોટ મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલા જાબીરે જેલના નિયમો મુજબ 12 જાન્યુઆરી, 2026ના રોજ 14 દિવસની ફર્લો રજા મેળવી હતી. રજા પૂર્ણ થતા તેણે 26 જાન્યુઆરી સુધીમાં જેલ સત્તાધીશો સમક્ષ હાજર થવાનું હતું, પરંતુ ગુનાહિત માનસ ધરાવતા જાબીરે ફરીથી મુક્ત હવામાં ફરવાના ઈરાદે જેલમાં હાજર થવાનું ટાળ્યું અને ફરાર થઈ ગયો. આ અંગે જેલ અધિક્ષકે પોલીસને જાણ કરી હતી, જેના આધારે રાજ્યભરમાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ઓળખ છુપાવવા સુરતને બનાવ્યું સુરક્ષિત આશ્રયસ્થાનપોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી શા માટે સુરત આવ્યો હતો. આરોપી જાબીરના મનમાં એવો વહેમ હતો કે સુરત એક મોટું શહેર છે અને અહીં લાખોની વસ્તીમાં તેને કોઈ ઓળખશે નહીં. તે છેલ્લા ચાર દિવસથી સુરતમાં ચોરી-છુપીથી રહેતો હતો. તે અહીં કોઈ નાનું-મોટું કામ શોધીને કાયમી વસવાટ કરવાની અને કાયદાના હાથથી બચવાની યોજના બનાવી રહ્યો હતો. જોકે, સુરત પોલીસની સક્રિયતાને કારણે તેનો આ પ્લાન નિષ્ફળ ગયો છે. પોલીસની કાયદેસરની કાર્યવાહીનાસતા ફરતા સ્કોડના જવાનોએ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીને પુણા પાટીયા નજીકથી કોર્ડન કરીને પકડી પાડ્યો હતો. હાલમાં આરોપીનો કબજો મેળવી તેની ધરપકડ કરવામાં આવી છે અને તેને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 1:03 pm

ધો.12 સાયન્સ સ્ટ્રીમની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ:શહેરની 25 સ્કૂલમાં 5થી 13 ફેબ્રુઆરી સુધી પ્રેક્ટિકલ પરીક્ષા યોજાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી (5 ફેબ્રુઆરી) ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાઓનો રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે. આજના દિવસે વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ અને તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપતા જોવા મળ્યા. આજે પરીક્ષા બે શિફ્ટમાં યોજાઈ હતી. સવારે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી કેમિસ્ટ્રીની પ્રેક્ટિકલ પરીક્ષા યોજાઈ. જ્યારે બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી ફિઝિક્સની પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવશે. ફિઝિક્સ-કેમેસ્ટ્રી વિષયમાં અંદાજે 7,720 વિદ્યાર્થીની પરીક્ષાશહેરની નવરંગપુરા સ્થિત એ.જી. હાઈસ્કૂલ ખાતે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) રોહિત ચૌધરીએ પરીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમણે પરીક્ષાની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું અને વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારના માનસિક દબાણ વગર પરીક્ષા આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. શહેરમાં કુલ 25 જેટલા પરીક્ષા કેન્દ્રો પર ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. આ પરીક્ષામાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રી વિષયમાં અંદાજે 7,720 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, જ્યારે બાયોલોજી વિષયમાં 4,000 થી 4,500 જેટલા વિદ્યાર્થીઓ સામેલ થયા છે. વિદ્યાર્થીઓ તણાવમુક્ત થઈ પરીક્ષા આપે તે માટે તમામ વ્યવસ્થાઓ: DEO જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, આજથી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાઓ શરૂ થઈ છે. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ અને તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપે તે માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ ચિંતામુક્ત રીતે પરીક્ષા આપી શકે તેની માટે વિદ્યાર્થીઓને શુભેરછાઓ પાઠવી અને તેમને થોડાક સૂચનો કર્યા.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 12:54 pm

કારંજ પોલીસ સ્ટેશન બહારથી જ એક્ટિવાની ચોરી:વૃદ્ધ દંપતી પાર્ક કરીને ભદ્રકાળી મંદિરેથી દર્શન કરવા ગયું, 15 મિનિટમાં જ એક્ટિવા ગાયબ

શહેરમાં પોલીસ સ્ટેશન પાસે જ હવે ચોરી થવા લાગી છે. કારંજ પોલીસ સ્ટેશનની બહાર વૃદ્ધ દંપત્તિ તેમનું વાહન પાર્ક કરીને ભદ્રકાળી મંદિર દર્શન કરવા ગયા અને દંપતી જ્યારે પરત આવ્યું ત્યારે તેમનું એક્ટિવા ચોરી થયું ગયું હતું. એક્ટિવા પોલીસ સ્ટેશનની દીવાલને અડીને જ મૂક્યું હતું, છતાં પોલીસ સ્ટેશનની બહારથી જ ચોરી થતા સુરક્ષાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે. પોલીસ સ્ટેશનની દીવાલને અડીને જ વાહન પાર્ક કર્યું હતુંઅમદાવાદના નારણપુરામાં રહેતા 70 વર્ષથી નરેન્દ્રભાઈ બારોટ તેમના પત્નીને લઈને ભદ્રકાળી મંદિર દર્શન કરવા માટે ગયા હતા. નરેન્દ્રભાઈએ એક્ટિવા કારંજ પોલીસ સ્ટેશનની દીવાલની બહાર પાર્ક કર્યું હતું. એક્ટિવા પાર્ક કરીને મંદિર દર્શન કરવા ગયા જેવા પરત આવ્યા ત્યારે એક્ટિવા ત્યાંથી ગાયબ હતું. 15 મિનિટમાં જ પાર્ક કરેલું એક્ટિવા ગાયબ થતા તેમણે આસપાસ તપાસ કરી, પરંતુ એક્ટિવા મળી આવ્યું નહતું. એક્ટિવા ના મળતા ચોરી થયું હોવાની જાણ થઈ હતી, જેથી તેમણે કારંજ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. ભદ્રકાળી મંદિર હોવાથી પોલીસનો પણ બંદોબસ્ત હોયકારંજ પોલીસ સ્ટેશનની બહાર થોડા સમય અગાઉ પાથરણા બજાર ભરાતું હતું, જે હવે બંધ કરવામાં આવ્યું છે. ભદ્રકાળી મંદિર હોવાથી ત્યાં પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવે છે. પોલીસ પેટ્રોલિંગ અને બંદોબસ્તના દાવા કરવામાં આવે છે, પરંતુ પોલીસ સ્ટેશનની બહાર જ ચોરીનો બનાવ બનતા કામગીરી પર સવાલ ઊભા થયા છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 12:48 pm

વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીનો ધમધમાટ:આગામી પાલિકાની ચૂંટણીને લઈ EVM મશીનનું ફર્સ્ટ લેવલ ચેકિંગ હાથ ધરાયું, EVM બનાવતી કંપની અને કોર્પોરેશનમાં અધિકારીઓ જોડાયા

વડોદરા મહાનગર પાલિકાની આગામી સમયમાં ચૂંટણી યોજાવવાની છે ત્યારે આજે ચિંતને લઈ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજે પાલિકા અને વહીવટી તંત્ર સાથે EVM કંપની સાથે માળીને ઈવીએમનું ફર્સ્ટ લેવલ ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં પાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજે EVM બનાવતી કંપનીના અધિકારીઓ અને વડોદરા મહાનગર પાલિકાના અધિકારીઓ સાથે મળી ફર્સ્ટ લેવલ ચેકીંગ હાથ ધરાયું હતું. પાલિકાના 40 કર્મચારીઓ સાથે મળી ઈવીએમ ચેક કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ શહેરના દક્ષિણ ઝોનની કચેરી ખાતર યોજવામાં આવ્યો હતો. ત્યારે કહી શકાય કે પાલિકાની ચૂંટણીનો ધમધમાટ આજથી શરૂ થયો છે. આ અંગે પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડી. એમ. રાજપૂતે જણાવ્યું હતું કે, આ વર્ષે આપ બધા જ જાણો છો એ મુજબ કોર્પોરેશનની ઈલેક્શનની તૈયારીઓ આપણે શરૂ કરી છે. ગુજરાત ચૂંટણી પંચના નિર્દેશ મુજબ ઈવીએમ (EVM) બનાવનાર કંપની બેલના એન્જિનિયરો દ્વારા પ્રથમ લેવલનું ચેકિંગ (FLC) આગામી મહાનગર પાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજથી કોર્પોરેશનમાં શરૂ કરવામાં આવ્યું છે. વધુમાં જણાવ્યું કે, ઈવીએમ બનાવનાર કંપની બેલ તરફથી ગુજરાત ચૂંટણી પંચ દ્વારા 10 એન્જિનિયરો ફાળવવામાં આવ્યા છે. આ સાથે તેમની મદદગારી માટે કોર્પોરેશનનો 30 થી 40 લોકોનો સ્ટાફ પણ સામેલ છે. આ કામગીરી આગામી ચાર દિવસ સુધી ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 12:48 pm

રાજકોટમાં નો મેપિંગવાળા 6.50 લાખ મતદારો:95 ટકા વોટર્સ હિયરિંગમાં હાજર ન રહ્યા, ફાઈનલ મતદાર યાદી 17 મીએ જાહેર થશે

રાજકોટ જિલ્લામાં ખૂબ જ વિવાદો વચ્ચે SIR અંતર્ગત ખાસ મતદાર યાદી સુધારણા ઝૂંબેશ અંતર્ગત ફાઇનલ મતદાર યાદી તૈયાર થઈ રહી છે. જેમાં 23.91 લાખમાંથી 6.50 લાખ જેટલા નો મેપિંગ અને લોજીકલ સમસ્યા વાળા મતદારો છે કે જેમના નામ વર્ષ 2002 ની મતદાર યાદી સાથે મેચ થયા નથી. આ દરમિયાન મતદાર યાદીમાંથી નામ રદ કરવા બોક્સ ભરીને ફોર્મ 7 આવતા ઊહાપોહ મચી ગયો. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરાયો કે આ ભાજપનું ષડયંત્ર છે તેવામાં મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે ફોર્મ 6 તેમજ મતદારો શિફ્ટ થયા હોય તેવા કિસ્સામાં ફોર્મ 8 મળી કુલ 17000 અરજીઓ આવ્યાનું આજે 5 ફેબ્રુઆરીના કલેકટરે જણાવ્યુ હતુ. જોકે આ દરમિયાન જેમના નામ 2002 ની મતદાર યાદી સાથે મેચ થયા નથી તેવા મતદારોએ આધારકાર્ડ સહિતના પોતાના આધાર પુરાવાઓ અગાઉ બુથ લેવલ ઓફિસરને આપી દીધા બાદ પણ વહીવટી તંત્રે નોટિસ આપી રૂબરૂ હીયરિંગમાં બોલાવવામાં આવ્યા. જેથી 95 ટકા મતદારો હિયરિંગમાં આવ્યા ન હોવાનું સામે આવ્યુ છે. રાજકોટ કલેકટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યુ હતુ કે, રાજકોટ જિલ્લામાં SIR ની કામગીરી ચાલી રહી છે જેમાં નો મેપિંગવાળા કેસમાં હોયરિંગ ચાલી રહ્યું છે. 2002 ની મતદાર યાદી સાથે જેમનું નામ મેપ થઈ શક્યું નથી તેમને નોટિસ આપી સુનાવણી ચાલી રહી છે. જેમાં મતદાર દ્વારા મતદાતા તરીકે પોતાના આધાર પુરાવાઓ રજૂ કરવાના હોય છે અને ત્યારબાદ નક્કી થશે કે તેઓ મતદાર તરીકે રહેશે કે નહીં. તેમણે વધુમાં જણાવ્યું કે, આ કામગીરી 10 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરી લેવાની રહેશે. જે બાદ 10 થી 17 ફેબ્રુઆરી દરમિયાન મતદાર યાદીને અપડેટ કરવામાં આવશે. જે પછી ફાઈનલ મતદાર યાદી પબ્લિશ થશે. ફોર્મ 6, 7 અને 8 જે ભરવામાં આવ્યા છે તેમાં હિયરિંગ કામગીરી હાલ ચાલુ છે. જેમાં 17000 થી વધુ ફોર્મ ભરાયા છે. ફાઇનલ કેટલા નામ મતદારયાદી નથી રદ થયા છે તે ફાઇનલ મતદાર યાદી જાહેર થશે ત્યારે જ ખ્યાલ આવશે. નો મેપિંગ અને લોજિકલી સમસ્યાવાળા 6.50 લાખ મતદારો છે કે જેમના નામ 2002 ની મતદાર યાદી સાથે મેપિંગ થઈ શક્યા નથી. જાણવા મળતી વિગત મુજબ, ફોર્મ 6 જે નવા મતદારોના નામ ઉમેરવા માટે છે જેમાં મતદારનું આધાર કાર્ડ અને લિવિંગ સર્ટિફિકેટ માંગવામાં આવે છે. જ્યારે ફોર્મ 7 માત્ર કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યા હોય તો જ નામ રદ કરવા માટે હોય છે. જોકે આમ છતાં અન્ય કારણોથી બોક્સ ભરીને ફોર્મ 7 ભરીને આપવામાં આવ્યા છે. જે અયોગ્ય છે. આમ છતાં પણ વહીવટી તંત્ર દ્વારા તે ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે જોકે આ નામો રદ થશે તેવી શક્યતા ઓછી છે. જે મતદારોના નામ મેપ થઈ શક્યા નથી તેઓએ બુથ લેવલ ઓફિસરને અગાઉ આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ આપી દીધા હતા જોકે ત્યારબાદ પણ વહીવટી તંત્ર દ્વારા આ મતદારોને નોટિસ આપી રૂબરૂ બોલાવવામાં આવ્યા. જોકે 6.50 લાખમાંથી 95 ટકા મતદારો હિયરિંગમાં હાજર ન થયા હોવાનું સામે આવ્યુ છે. જેથી આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટના આધારે તેમનું મતદાર તરીકે નામ યથાવત રાખવામાં આવી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 12:46 pm

બિલ્ડર તુષાર ઘેલાણીનું મોત:અંગદાન થાય તે પહેલા જ હૃદય બેસી ગયું, દીકરીના લગ્નની તારીખે જ અંતિમ શ્વાસ લીધા

સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીનું અવસાન થયું છે. અંગદાનની તેમની ઈચ્છા હોવા છતાં હાર્ડ એટેક (કાર્ડિયાક અરેસ્ટ) આવતાં માત્ર ચક્ષુદાન જ થઈ શક્યું છે. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવશે અને આજે બપોરે 2:30 વાગ્યે અંતિમ યાત્રા કાઢવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, બિલ્ડર તુષાર ઘેલાણીની દીકરીના જ્યારે લગ્ન લખવાના હતા ત્યારે જ તેમના નિવાસસ્થાને પોતાની જ લાયસન્સ વાળી રિવોલ્વર વડે ગોળી મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ ગતરોજ તેમને બ્રેઈનડેડ જાહેર કરાતા પરિવારે અંગદાનનો નિર્ણય લીધો હતો. આજરોજ 5 ફેબ્રુઆરીએ તેમના દીકરીના લગ્ન માટેની તારીખ નક્કી કરાઈ હતી, તે દિવસે જ તેઓએ અંતિમ શ્વાસ લેતા ઘરમાં સન્નાટાનો માહોલ છવાઈ ગયો હતો. કાર્ડિયાક અરેસ્ટ આવતા અંગદાન ન થઈ શક્યુંતુષાર ઘેલાણીના અવસાનના સમાચાર મળતાં જ 'ડોનેટ લાઇફ' સંસ્થાના પ્રતિનિધિઓ મહાવીર હોસ્પિટલ પહોંચી ગયા હતા. તેમના મિત્ર વર્તુળમાં ઉદ્યોગકાર મુકેશ પટેલ અને મહેશ સવાણી સહિત અનેક મોટી હસ્તીઓએ હોસ્પિટલમાં પહોંચીને પરિવારને સાંત્વના આપી હતી. અંગદાનની પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ તુષારભાઈને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો, જેના કારણે અંગદાન ન થઈ શક્યું અને માત્ર આંખો (ચક્ષુદાન) જ લેવામાં આવ્યા છે. બપોરે 2:30 વાગ્યે અંતિમ યાત્રા કાઢવામાં આવશેતુષાર ઘેલાણી સુરતના રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં જાણીતા નામ હતા અને તેમના અવસાનથી શહેરના બિલ્ડર અને ઉદ્યોગકાર વર્ગમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેમના પરિવાર અને મિત્રોમાં ભારે શોકનો માહોલ છે. અંતિમ યાત્રા આજે બપોરે 2:30 વાગ્યે કાઢવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેશે એવી શક્યતા છે. આ ઘટના અંગદાનના મહત્વ અને તેની સમયસર પ્રક્રિયાને લઈને પણ ચર્ચા જગાવી રહી છે. તુષાર ઘેલાણીના પરિવારે તેમના અંગદાનની ઈચ્છાને માન આપીને ચક્ષુદાન કર્યું છે, જે અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની રહેશે. આ પણ વાંચો- 9 MMની ગોળી બિલ્ડર તુષાર ઘેલાણીના મગજની આરપાર, સ્થિતિ નાજુક

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 12:32 pm

500 કરોડની જમીન પર બનેલો આસારામ આશ્રમ તૂટશે:45,000 ચો.મીથી વધુ જમીન પાછી લેવા હાઇકોર્ટની મંજૂરી; કોમનવેલ્થ-ઓલમ્પિકને લઈને ડેવલપ કરાશે

ગુજરાત હાઈકોર્ટે આસારામ આશ્રમ પાસેથી 45,000 ચોરસ મીટરથી વધુ વિસ્તારની જાહેર જમીન પાછી લેવા રાજ્ય સરકારના પગલાને યોગ્ય ઠેરવેલ છે. વિવાદિત જમીન અમદાવાદના મહત્વના સ્થળે આવેલી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની બાજુમાં આવેલા મોટેરાએ શહેરના રમતગમત અને શહેરી ભવિષ્યના કેન્દ્રબિંદુ તરીકે સ્થાન મેળવી લીધું છે. અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે તૈયારીઓ કરી રહ્યું છે અને લાંબા ગાળે ઓલિમ્પિક્સ માટેના સપનાઓ પોષી રહ્યું છે ત્યારે આ જમીન પાછી મળવી મહત્વપૂર્ણ છે. ધાર્મિક ઉપયોગ માટે આપેલી જમીન ધીમે ધીમે તેની કાયદેસર સીમાઓને પાર કરી ગઈકોર્ટ સમક્ષ રાજ્ય સત્તાવાળાઓએ એક મજબૂત હકીકત આધારિત રજૂ કરી હતી કે દાયકાઓ પહેલાં માત્ર મર્યાદિત ધાર્મિક ઉપયોગ માટે આપવામાં આવેલી જમીન ધીમે ધીમે તેની કાયદેસર સીમાઓને પાર કરતી ગઈ હતી. જમીન ફાળવણી સાથે જોડાયેલી શરતો સ્પષ્ટ હતી કે તેમાં કોઈ વ્યાવસાયિક પ્રવૃત્તિ નહીં થાય, કોઈ અનધિકૃત બાંધકામ નહીં થાય અને જરૂરી મંજૂરીઓનું કડક પાલન કરવામાં આવશે. તેમ છતાં તપાસ દરમિયાન ફાળવેલી જમીન કરતાં ઘણી વધારે જમીન પર વ્યાપક બાંધકામ અને કબજો થયેલો હોવાનું બહાર આવ્યું હતું. રાજ્યના કેસને વધુ વજન આપતી બાબત એ હતી કે આશ્રમે જાતે જ વારંવાર અનધિકૃત બાંધકામને નિયમિત કરવાની અરજીઓ કરી હતી. આશ્રમને અનેક વખત નોટિસ અપાઈરાજ્ય સરકાર તરફથી હાજર થયેલા મુખ્ય સરકારી વકીલ જી.એચ.વિર્કે દલીલ કરી હતી કે આ કોઈ અચાનક લેવામાં આવેલ પગલું કે વહીવટી અતિશયતા નથી. પરંતુ ન્યાયસંગત, ધીરજ યુક્ત નિર્ણય પ્રક્રિયાનું પરિણામ છે. તેમણે કહ્યું કે આશ્રમને કાયદેસર જરૂરી કરતાં પણ વધુ વખત નોટિસ આપવામાં આવી, એક પછી એક સુનાવણીઓ આપવામાં આવી છે. રાજ્ય સરકારે એ પણ સ્પષ્ટ કર્યું કે જાહેર જમીનને ઇંચે ઇંચે અતિક્રમણ કરીને પછી તેને કાયદેસર બનાવવાનો પ્રયાસ સ્વીકાર્ય હોઈ શકે નહીં. 30થી વધુ ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરવાની અરજીઓને નામંજૂર કરાઈ હતીજમીનના દુરુપયોગ અંગે જાહેર ચિંતા વધતાં સત્તાવાળાઓએ પણ પગલાં લીધા હતા. તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મોટેરા સ્થિત આશ્રમમાં આવેલી 30થી વધુ ગેરકાયદેસર રચનાઓને નિયમિત કરવાની અરજીઓને નામંજૂર કરી દીધી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે ખાસ કરીને આવા સંવેદનશીલ શહેરી વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામને કાયદેસર બનાવી શકાય નહીં. હાઈકોર્ટના આ ચુકાદા બાદ લાંબા સમયથી કાનૂની ગૂંચવણમાં અટવાયેલી વિશાળ જમીન હવે રાજ્ય સરકારના નિયંત્રણમાં પાછી આવવાની દિશામાં છે. એપેલેટ ઓથોરિટીમાં કેસનો નિકાલ લાવવા સૂચના આપી હતી500 કરોડની જમીન પર બનેલા આસારામ આશ્રમમાં 32 જેટલાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવેલાં છે, જેને દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસ આપી હતી. ત્યારે 21 જાન્યુઆરી, 2026એ AMCએ આશ્રમની ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર કરી હતી અને એપેલેટ ઓથોરિટીમાં કેસનો નિકાલ લાવવા સૂચના આપી હતી. આસારામ આશ્રમના ગેરકાયદે બાંધકામ દૂર થશે કે નહીં? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી નોટિસને લઈને આશ્રમ દ્વારા ઇમ્પેક્ટ ફીમાં મંજૂરીમાં મૂકવામાં આવી હતી, જેને મ્યુનિસિપલ કોર્પોરેશને નામંજૂર કરી હતી. કોર્ટની એપેલેટ ઓથોરિટી સમક્ષ આ કેસ મૂકવામાં આવ્યો હતો. જેમાં 21 જાન્યુઆરીએ મળેલી લીગલ કમિટીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વકીલની નિમણૂક કરી તાત્કાલિક આ કેસનો નિકાલ લાવવા માટેની સૂચના આપવામાં આવી હતી. 2 વર્ષ પહેલાં ભાસ્કરે કહ્યું હતું, ઓલિમ્પિક ગેમ્સ માટે આસારામ આશ્રમ સહિત કબજાવાળી 500 કરોડની જમીન ખાલી કરાશે. દબાણ કરેલી જગ્યા ખાલી કરવા આસારામ આશ્રમને નોટિસરાજ્ય સરકારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે ઓલિમ્પિક વિલેજ બનાવવાની તૈયારીના ભાગ રૂપે કરાવેલા સર્વેમાં આસારામ આશ્રમ ઉપરાંત ભારતીય સેવા સમાજ અને સદાશિવ આશ્રમે કરોડો રૂપિયાની જમીન કબજે કરી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. સરકારે આ ત્રણ આશ્રમ ઉપરાંત દોઢસો જેટલાં રહેણાક મકાનોને પણ નોટિસ ફટકારી હતી. આસારામ આશ્રમ સહિત કુલ 15,778 ચોરસ મીટર જગ્યા ખાલી કરાવાશે સિટી મામલતદાર દ્વારા ફટકારવામાં આવેલી નોટિસમાં જણાવ્યું છે કે આસારામ આશ્રમે સર્વે નંબર 282- અ પૈકી 6,489, ગામ તળની 3,185 અને સાબરમતી નદીની 6,104 ચોરસ મીટર મળી કુલ 15,778 ચોરસ મીટર જગ્યા પર ગેરકાયદે કબજો કર્યો છે. જાણકારોનું કહેવું છે કે ચારેક દાયકા પહેલાં સરકારે આસારામ આશ્રમ માટે મોટેરામાં અંદાજે 33,980 ચોરસ મીટર જગ્યા ફાળવી હતી. ગત વર્ષના અંતમાં જ્યારે સરકારે ફરી સર્વે કરાવ્યો ત્યારે આસારામ આશ્રમની કુલ જગ્યા 49,758 ચોરસમીટર સામે આવી હતી, જેથી ગેરકાયદે કબજા અંગે જે-તે સમયે શરતોને આધીન અપાયેલી જગ્યામાં શરતભંગની નોટિસ આપી હતી. 2 જાન્યુઆરીએ સુરતના આશ્રમમાં ઢોલ-નગારાં સાથે ભક્તોએ રેપિસ્ટ આસારામનું સ્વાગત કર્યું હતુંદુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા અને તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્વાસ્થ્યના કારણોસર શરતી જામીન મેળવનાર આસારામ લગભગ 13 વર્ષ બાદ 2 જાન્યુઆરીએ સુરત પહોંચ્યા હતા. ભાવનગરથી રો-રો ફેરી મારફત આગમન કરનાર આસારામના જહાંગીરપુરા આશ્રમમાં પહોંચતાની સાથે જ હજારો અનુયાયીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ઢોલ-નગારા સાથે સ્વાગત માટે અંધ ભક્તો આશ્રમના ગેટ પર જ હાથમાં દીવડાં લઈને ઊભા રહી ગયા હતા. (વાંચો સંપૂર્ણ સમાચાર) આ પણ વાંચો: સુરત દુષ્કર્મકેસમાં આસારામને 6 મહિનાના જામીન:જોધપુર હાઇકોર્ટે જામીન આપ્યા હોવાથી અલગ સ્ટેન્ડ ન લઈ શકીએ: ગુજરાત હાઇકોર્ટઆસારામનો પરિવાર અને વિવાદ આસારામ અને તેના પરિવારનાં 'કાળાં કરતૂતો' 2013માં સામે આવ્યાં હતાં. એ સમયે આસારામ પર સગીર બાળકી પર બળાત્કારનો આરોપ હતો. યુવતીનાં માતા-પિતાએ જણાવ્યું હતું કે તેમની પુત્રી છિંદવાડામાં ગુરુકુળમાં રહેતી હતી. એક દિવસ તેમને ફોન આવ્યો કે તેમની દીકરીની તબિયત ખરાબ છે, તેની પર ભૂતપ્રેતનો ઓછાયો છે અને હવે માત્ર આસારામ જ તેનો ઈલાજ કરી શકે છે. યુવતીનાં માતા-પિતા તેને જોધપુરના આશ્રમમાં લઈ ગયાં. આરોપ છે કે આસારામે તેમની 16 વર્ષની પુત્રીને પોતાની ઝૂંપડીમાં બોલાવી અને તેની સાથે બળાત્કાર કર્યો. આસારામ વિરુદ્ધ 15 ઓગસ્ટ, 2013ના રોજ કેસ નોંધવામાં આવ્યો હતો. આસારામની 31 ઓગસ્ટે ઈન્દોરથી ધરપકડ કરવામાં આવી હતી. આ પણ વાંચો: દુષ્કર્મકેસમાં જામીન બાદ 12 વર્ષે આસારામ અમદાવાદમાં:અનુયાયીને ન મળવાની જામીનમાં શરત હોવા છતાં મોટેરા આશ્રમમાં સાધકો ઊમટ્યા, પોલીસ એલર્ટ બની સગીરા પર દુષ્કર્મકેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને તબીબી આધાર પર સુપ્રીમ કોર્ટે 31 માર્ચ સુધીના વચગાળાના શરતી જામીન આપ્યા છે. જોધપુર જેલમાં સજા કાપી રહેલા આસારામનો જામીન પર છુટકારો થયા બાદ અમદાવાદના મોટેરા આશ્રમમાં 12 વર્ષે તેની એન્ટ્રી થઈ…

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 12:31 pm

વેરાવળમાં મુરલીધર કોમ્પ્લેક્સમાં ભીષણ આગ:વાહનો બળીને ખાખ, ફાયર ટીમે સમયસર કામગીરી કરી; મોટી દુર્ઘટના ટળી

વેરાવળ-જુનાગઢ બાયપાસ પર આવેલા મુરલીધર કોમ્પ્લેક્સમાં આજે ભીષણ આગ લાગી હતી. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. કોમ્પ્લેક્સમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જ વેરાવળ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર કર્મચારીઓએ ઝડપી કાર્યવાહી કરીને આગને વધુ ફેલાતી અટકાવી હતી. સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. પ્રાથમિક વિગતો અનુસાર, આગની ઝપેટમાં કોમ્પ્લેક્સ પાસે પાર્ક કરેલું એક ફોર વ્હીલ વાહન અને બે મોટરસાયકલ આવી ગયા હતા. આ વાહનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જે એક રાહતની વાત છે. આગ લાગતા જ કોમ્પ્લેક્સમાં હાજર વેપારીઓ, કર્મચારીઓ અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પરિસ્થિતિની ગંભીરતા જોતા લોકો પોતાનો જીવ બચાવવા માટે કોમ્પ્લેક્સમાંથી બહાર દોડી આવ્યા હતા. થોડા સમય માટે બાયપાસ માર્ગ પર ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટ, ગેસ લીકેજ કે અન્ય કોઈ કારણસર આગ લાગી હોવાની શક્યતાઓ અંગે તપાસ ચાલી રહી છે. સંબંધિત વિભાગ દ્વારા આ ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 12:29 pm

ડુંગળીના ભાવ તળિયે:ભાવનગરના ખેડૂતોની હાલત કફોડી, મણે રૂ.50 થી રૂ.250ના ભાવે ડુંગળી વેચવા ખેડૂતો મજબૂર

ભાવનગર શહેરના ચિત્રા માર્કેટિંગ યાર્ડમાં હાલ ડુંગળીની સીઝન જામી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ડુંગળીનું ઉત્પાદન શરૂ થતા ની સાથે જ એકાએક ડુંગળીના ભાવમાં કડાકો થતા ડુંગળી પકવતા ખેડૂતોને રાતા પાણીએ રડવાની નોબત આવી છે, ખેડૂતોને ડુંગળીના ભાવ એટલા નીચા છે કે ખેડૂતોને વાવેતર, ખાતર, દવા અને મજૂરીનો ખર્ચ પણ માથે પડી રહ્યો છે, ​નવાગામ ના ખેડૂત મહેન્દ્રસિંહ ગોહિલ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, જ્યારે DAP ખાતરની થેલી 500 રૂપિયામાં મળતી હતી, ત્યારે ડુંગળીના ભાવ 500-600 રૂપિયા હતા, આજે ખાતરના ભાવ વધીને 1500 રૂપિયા થઈ ગયા છે, દવા અને મજૂરી પણ મોંઘી થઈ છે, છતાં ડુંગળી 122 રૂપિયામાં વેચાય છે તેમના મતે, જો ડુંગળીના ભાવ 700 થી 800 રૂપિયા મળે તો જ ખેડૂતને બે પૈસાની કમાણી થાય, હાલમાં વીઘે 30 થી 35 હજારનો ખર્ચ થાય છે, જેની સામે માત્ર 5 થી 7 હજાર રૂપિયા ઉપજી રહ્યા છે, અને સરકાર કા નિકાસ આપે કા ખેડૂતોને સહાય આપે, તો જ કામનું છે બાકી ખેડૂત કોઈ રીતે ઊભો રહી શકે એવી એની પરિસ્થિતિ નથી એટલે ખેડૂતોને પડ્યા માથે પાટું એવું મળે છે અને કોઈપણ નેતા કે સરકાર કોઈપણ રીતે ખેડૂતોનું ધ્યાન દેતું નથી, તો હવે પછી ખેડૂતો એવું નક્કી કરશે કે ખેડૂતોનું કોઈ ન હોય તો આગામી ચૂંટણીમાં ખેડૂતો સરકારને એનો જવાબ આપવા પણ સહમત છે, ​ભંડારીયા ગામના ખેડૂત પ્રવિણભાઈ કુકડીયાએ જણાવ્યું હતું કે, જે ડુંગળી 8 દિવસ પહેલા 322 રૂપિયામાં વેચાતી હતી, તેના ભાવ આજે ઘટીને 241 રૂપિયા થઈ ગયા છે. નબળી ગુણવત્તાવાળી ડુંગળી તો માત્ર 100-150 રૂપિયામાં જાય છે, જેમાં ભાડા અને મજૂરીના પૈસા પણ નીકળતા નથી. ખેડૂત વિજયભાઈ ગોહિલએ જણાવ્યું હતું કે, અમે ડુંગળી લઈને આવ્યા છીએ, ડુંગળીનો પૂરતો ભાવ મળતો નથી, મજૂરીનું અને ભાડાનું થાય છે, ખર્ચનો રૂપિયો મળતો નથી, એટલે આમાં કંઈક સરકાર થોડુંક વિચારે ખેડૂત પ્રત્યે, તો પાંચ પૈસા ખેડૂતને મળે એવું થાય, અત્યારે ડુંગળી સારી ડુંગળીના ભાવ 200-225 અને નબળીના 70, 80, 90 રૂપિયા ભાવ છે. ​ભાવનગર માર્કેટિંગ યાર્ડ વેપારી એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આવકની વાત કરીએ તો અત્યારે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ડુંગળીની પુષ્કળ આવકો હોય, દર વર્ષે આપણે બબ્બે-ત્રણ ત્રણ યાર્ડની જગ્યાઓ પણ કરવી પડતી હોય છે, તેની બદલે ભાવનગર માર્કેટિંગ યાર્ડની જે જૂની જગ્યા છે એમાં જ માલ ઉતરે છે. એટલે ગયા વર્ષની સરખામણીમાં આવકો ખૂબ ઓછી છે, ​તેનું જો મુખ્ય કોઈ કારણ હોય તો ખેડૂતોએ વાવેતર કર્યા પછી દસ દિવસ જેવો કમોસમી વરસાદ પડ્યો છે. તેના લીધે ખેડૂતોને જે ઉતારો આવવો જોઈએ તેની કરતા ખૂબ ઓછો આવ્યો છે. બીજા નંબરમાં, વરસાદ પડવાથી ખેડૂતોને માલની ક્વોલિટી પણ ખૂબ નબળી થઈ છે અને ઉત્પાદન ખર્ચ પણ વધ્યો છે, ડુંગળીની ગુણવત્તા (ક્વોલિટી) પણ બગડી છે, હાલ યાર્ડમાં 80 ટકા માલ એવો છે જે મણે માત્ર 50 થી 150 રૂપિયામાં વેચાય છે. માત્ર 20 ટકા સારી ગુણવત્તાવાળો માલ 150 થી 225 રૂપિયા સુધી પહોંચે છે,

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 12:28 pm

ભાવનગર રોડ પર યુવાનનો ઝાડ સાથે દોરી બાંધી આપઘાત:સેટેલાઈટ બસ સ્ટેશન પાસેની ઘટનાનો વીડિયો વાઇરલ, થોરાળા પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટના ભાવનગર રોડ ઉપર અમુલ સર્કલ પાસે સેટેલાઈટ બસ સ્ટેશન પાસેની ઝાડની ડાળીએ એક યુવાનનો મૃતદેહ લટકતો હોવાની જાણ થતા 108 એમ્બ્યુલન્સ અને થોરાળા પોલીસ મથકનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો. આ દરમિયાન લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા, જેથી પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આપઘાત પાછળનું કારણ અકબંધપોલીસે કરેલી તપાસમાં સામે આવ્યુ હતુ કે, આપઘાત કરનાર યુવાન નવા થોરાળા શેરી નંબર -5 માં રહેતા 45 વર્ષીય પ્રવીણભાઈ ગોવિંદભાઈ રાઠોડ છે. જેમને 4 ફેબ્રુઆરીના રાત્રિના સમયે અમૂલ સર્કલ બાદ સ્ટેશન સામે ગળાફાંસો ખાઈ લીધો હતો. જોકે, યુવાને કારણોથી આપઘાત કરી લીધો તે હજુ સુધી સામે આવ્યુ નથી. લોકોને સતત અવરજવર છતાં કોઈને નજર ન પડી!શહેરના અમુલ સર્કલ પાસેના આ બસ સ્ટેન્ડમાં એસટી બસની અવરજવર સતત રહેતી હોય છે. આ ઉપરાંત વાહનચાલકો પણ અહીંથી પસાર થતા હોય છે, તેમ છતાં પણ આ યુવાન જ્યારે ઝાડ પર દોરી બાંધી આપઘાત કરી રહ્યો હતો તે કોઈના ધ્યાનમાં ન આવ્યું તે આશ્ચર્યજનક બાબત ગણી શકાય. જોકે, થોરાળા પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 12:18 pm

મોડાસાના કોલીખડના યુવાનને ધનુર:હિંમતનગર સિવિલમાં તબીબોએ એક મહિનાની સઘન સારવાર આપી સ્વસ્થ કર્યો

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કોલીખડ ગામના 22 વર્ષીય યુવાનને ધનુર ઉપડતા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં એક મહિનાની સઘન સારવાર બાદ તેનો જીવ બચાવી લેવાયો છે. યુવાનને જમણા પગે બાઈકનું સ્ટેન્ડ વાગવાથી ધનુર થયું હતું. મોડાસાના કોલીખડ ગામના ભરતભાઈ કુકાભાઈ ભરવાડને 7 જાન્યુઆરી, 2026ના રોજ ગંભીર હાલતમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત અત્યંત નાજુક હતી. GMERS મેડિકલ કોલેજની નવી સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડૉ. સુનીલ ચાવડાએ જણાવ્યું કે, દર્દીને તાત્કાલિક ICU માં ખસેડવામાં આવ્યા હતા. ગળાના ભાગે હોલ પાડી વેન્ટિલેટરની સુવિધા પૂરી પાડવામાં આવી હતી અને 15થી 20 દિવસ સુધી ધનુરના ભારે ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. વેન્ટિલેટર પર રાખ્યા બાદ દર્દી ધીમે ધીમે સ્વસ્થ થવા લાગ્યો હતો. એક મહિનાની સતત સારવાર અને તબીબો તેમજ નર્સિંગ સ્ટાફની મહેનત બાદ દર્દી સંપૂર્ણ સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. ધનુર ઉપડે ત્યારે શરીરના તમામ સ્નાયુઓ ખેંચાઈ જાય છે, ખાસ કરીને શ્વાસોચ્છ્વાસ અને ગળાના સ્નાયુઓ પર અસર થતા દર્દીને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડે છે. જો સમયસર ઈમરજન્સી સારવાર ન મળે તો દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. હિંમતનગર સિવિલની ટીમે સમયસર સારવાર આપીને યુવાનનો જીવ બચાવ્યો છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 12:09 pm

બાઈક ચોરીના 4 વણઉકેલાયેલા ગુના ડિટેક્ટ:મહેસાણા બી-ડિવિઝન પોલીસે રીઢા તસ્કરને ઝડપી પાડ્યો, 13 જેટલા ગુનામાં સંડોવણી

મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ અને એન.એફ. સ્કોડની ટીમે પેટ્રોલિંગ દરમિયાન એક રીઢા તસ્કરને ચોરીના ટુ-વ્હીલર સાથે ઝડપી પાડી બાઈક ચોરીના કુલ ચાર વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે. પકડાયેલ આરોપી અગાઉ પણ 13 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આરોપીને ઝડપી તપાસ શરૂ કરીમળતી માહિતી પ્રમાણે બી-ડિવિઝન પી.આઈ. એન.એસ. ઘેટીયાને ખાનગી બાતમી મળી હતી કે, એક શખ્સ લાલ રંગનું જેકેટ પહેરીને ચોરીના બાઈક સાથે મગપુરા ઉપલા રોડ પર ડફેર ડંગા પાસે ઉભો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કોર્ડન કરી મંગાજી હીરાજી ઠાકોર રહે. આંબલીયાસણ, મૂળ રાપર-કચ્છ નામના 28 વર્ષીય શખ્સને ઝડપી પાડ્યો હતો. પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી તપાસ કરતા તેની પાસે રહેલું ગ્લેમર મોટરસાયકલ મહેસાણા શહેર એ-ડિવિઝનમાંથી ચોરાયું હોવાનું ખુલ્યું હતું. આરોપીએ પોલીસ સામે કબૂલાત કરીપોલીસની પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે, તેણે છેલ્લા કેટલાક મહિનાઓમાં મહેસાણાના અલગ-અલગ વિસ્તારોમાંથી વધુ ત્રણ બાઈકની ચોરી કરી છે. જેમાં વાઈડ એંગલ થિયેટર પાસેથી ચોરાયેલું સ્પેલન્ડર પ્લસ, ગોપીનાળા પાસેથી ચોરાયેલું પેશન પ્રો અને રેલવે સ્ટેશનના પાર્કિંગમાંથી ચોરેલા બાઈકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આરોપી બી-ડિવિઝન પોલીસ મથકના એક અન્ય ગુનામાં પણ નાસતો ફરતો હતો. બાઈક ચોરીની ખાસ મોડસ ઓપરેન્ડી ધરાવતા આ રીઢા ગુનેગારની ધરપકડથી શહેરમાં વાહન ચોરીના બનાવોમાં ઘટાડો થવાની આશા સેવાઈ રહી છે. પોલીસે આરોપીને અટક કરી વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 12:08 pm

'ઉત્તર ભારતીયો અહીં ટેબલ સાફ કરવા આવે છે..', તમિલનાડુના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન

MRK Panneerselvam North India Statement : તમિલનાડુના કૃષિ મંત્રી એમઆરકે પન્નીરસેલ્વમે ઉત્તર ભારતીયો અને હિન્દી ભાષાને લઈને અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેના કારણે દેશભરમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. ચેંગલપટ્ટુ જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે ઉત્તર ભારતના લોકો તમિલનાડુમાં આવીને ટેબલ સાફ કરવાનું કે મજૂરી કરવાનું કામ કરે છે. શું છે સમગ્ર વિવાદ? તમિલનાડુના કૃષિ મંત્રી એમઆરકે પન્નીરસેલ્વમે એક પાર્ટી કાર્યક્રમમાં ઉત્તર ભારતીયોની મજાક ઉડાવતા કહ્યું હતું કે, ઉત્તર ભારતના લોકો અહીં ટેબલ સાફ કરવા આવે છે..

ગુજરાત સમાચાર 5 Feb 2026 12:08 pm

વાંકાનેરમાં ગેરકાયદે ડિઝલની હેરાફેરી કરતા બે પકડાયા:પોલીસે 9.72 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

વાંકાનેર-ચોટીલા નેશનલ હાઈવે પર ગેરકાયદેસર રીતે ડીઝલની હેરાફેરી કરતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. મીના રિફેક્ટરીઝ કારખાનાના લેબર ક્વાર્ટર પાસેથી બોલેરો ગાડીમાં પ્લાસ્ટિકની ટાંકીઓમાં ભરેલો 2700 લિટર ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વાહન સહિત કુલ 9.72 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે મીના રિફેક્ટરીઝ નજીક એક વાહનમાં લાયસન્સ કે પરવાના વગર જ્વલનશીલ પદાર્થની હેરાફેરી થઈ રહી છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા બોલેરો પીકઅપ ગાડી નંબર GJ 3 BW 3078 માં બે પ્લાસ્ટિકની ટાંકીઓમાં ગેરકાયદેસર ડીઝલ ભરેલું જોવા મળ્યું હતું. સ્થળ પર હાજર શખ્સો પાસે ડીઝલની હેરાફેરી માટે કોઈ લાયસન્સ કે આધારભૂત દસ્તાવેજ નહોતા. આ ઉપરાંત, જ્વલનશીલ પદાર્થની હેરાફેરી માટે જરૂરી ફાયર સેફ્ટીના સાધનો પણ રાખવામાં આવ્યા ન હતા. પોલીસે 2,51,100 રૂપિયાની કિંમતનો 2700 લિટર ડીઝલનો જથ્થો, 7 લાખ રૂપિયાની કિંમતનું બોલેરો વાહન, પ્લાસ્ટિકની ટાંકીઓ અને બે મોબાઈલ ફોન સહિત કુલ 9,72,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે ભીમસીંગ કુપસીંગ રાજપુત (ઉંમર 31, હાલ રહે. એસ.કે. પેટ્રોલિયમ, પંચાસર રોડ, વાંકાનેર; મૂળ રાજસ્થાન) અને ભાઈખાન ઈબ્રાહીમખાન સંધિ (ઉંમર 22, હાલ રહે. મીના રિફેક્ટરીઝ કારખાનું, વાંકાનેર; મૂળ રાજસ્થાન) નામના બે શખ્સોની ધરપકડ કરી છે. તેમની સામે આવશ્યક ચીજવસ્તુ ધારા અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 12:03 pm

પાટનગરમાં પેસેન્જર બનીને બેસતી ગેંગ ફરી સક્રિય:સેક્ટર-16ની બેંકમાંથી પૈસા ઉપાડી પરત જતી વખતે ખેડૂતના 50 હજાર સેરવી લઈ રિક્ષા ગેંગ ફરાર

ગાંધીનગરમાં અજાણ્યા રિક્ષા ચાલકો અને તેમની સાથે પેસેન્જર બનીને બેસતી ગેંગનો આતંક ફરી દિન-પ્રતિદિન વધી રહ્યો છે. તાજેતરમાં માણસા તાલુકાના આમજા ગામના એક ખેડૂત ગાંધીનગર ખાતે બેંકમાંથી પૈસા ઉપાડી પરત જઈ રહ્યા હતા ત્યારે રિક્ષા ગેંગે તેમની નજર ચૂકવી થેલીમાંથી 50 હજારની રોકડ ચોરી લીધી હોવાની ફરિયાદ સેકટર-21 પોલીસ ચોપડે નોંધાઈ છે. સામાજિક પ્રસંગ હોવાથી બેંકમાંથી પૈસા ઉપાડીને જતા હતામાણસાના આમજા ગામે પ્રજાપતિ વાસમાં રહેતા 57 વર્ષીય કનુભાઇ મોહનભાઇ પ્રજાપતિ ખેતીકામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ગત તા. 29 જાન્યુઆરીના રોજ તેમના ઘરે સામાજિક પ્રસંગ હોવાથી પૈસાની જરૂરિયાત ઊભી થઈ હતી. તે સવારના દસેક વાગ્યાના અરસામાં ગાંધીનગર સેક્ટર-16 ખાતે આવેલી ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંક લિમિટેડમાં પૈસા ઉપાડવા માટે આવ્યા હતા. બાદમાં ​બપોરે આશરે સાડા બાર વાગ્યાના અરસામાં કનુભાઇએ પોતાના ખાતામાંથી 1 લાખ રોકડા ઉપાડ્યા હતા અને 500ના બે બંડલ તેમણે પોતાની પાસે રહેલી એક પ્લાસ્ટિકની થેલીમાં મુક્યા હતા.ત્યારબાદ તેઓ ઘ-5 સર્કલ પાસે આવેલા મધુર પાર્લર બસ સ્ટેન્ડ પર આમજા જવા માટે વાહનની રાહ જોઈ ઉભા હતા. કાકા તમે અહીં થોડીવાર ઉભા રહો, પેસેન્જરને ઉતારી આવુઆ દરમિયાન આશરે પોણા એક વાગ્યાની આસપાસ એક રિક્ષા ચાલક ત્યાં આવ્યો હતો. કનુભાઇએ રિક્ષા રોકાવી આમજા જવાનું પૂછતા ચાલકે 30 ભાડું નક્કી કર્યું હતું. જોકે, રિક્ષામાં અગાઉથી જ બે મહિલાઓ અને એક પુરુષ પેસેન્જર તરીકે બેઠેલા હતા. બાદમાં રિક્ષા હજુ સેક્ટર-24 માં હરિહર જ્વેલર્સ પાસે પહોંચી ત્યાં જ રિક્ષા ચાલકે અચાનક રિક્ષા ઉભી રાખી કહ્યું હતું કે, કાકા તમે અહીં થોડીવાર ઉભા રહો હું આ પેસેન્જરોને ઉતારીને હમણાં જ પાછો આવું છું. થેલી તપાસતા એક લાખ રૂપિયામાંથી 50 હજારનું બંડલ ગાયબજેની વાત માની ખેડૂત નીચે ઉતરી ગયા હતા. જોકે, ઘણો સમય રાહ જોવા છતાં રિક્ષા ચાલક પરત ન ફરતા કનુભાઇને શંકા ગઈ હતી. તેમણે પોતાની પાસે રહેલી થેલી તપાસતા એક લાખ રૂપિયામાંથી 50 હજારનું બંડલ ગાયબ હતું. આ ઘટના બાદ ગભરાઈ ગયેલા કનુભાઇ ઘરે પરત ફર્યા હતા અને પ્રસંગ હોવાથી તે પૂર્ણ થયા બાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 11:54 am

કટરથી પતરા કાપી ડ્રાઈવરને બહાર કાઢ્યો:SG હાઇવે પર BRTS બ્રિજના પીલર અથડાઈ, લોકો ફાયરને કોલ કરવાની જગ્યાએ વીડિયો ઉતારી રહ્યાં હતાંઃ પ્રત્યક્ષદર્શી

અમદાવાદના એસ. જી. હાઇવે પર સોલા સિવિલ હોસ્પિટલ નજીક આજે (5 ફેબ્રુઆરી) વહેલી સવારે બીઆરટીએસ બસનો અકસ્માત થયો હતો. બેફામ સ્પીડે જતી બીઆરટીએસ બસના ચાલકે એસ. જી. હાઇવે પરના બ્રિજના પીલ્લર સાથે જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે બસ ડ્રાઇવર બસની આગળના ભાગમાં ફસાઈ ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમે એક કલાકની ભારે જહેમત બાદ ડ્રાઇવરને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો. ડ્રાઇવરને પગમાં ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. કેવી રીતે અકસ્માત સર્જાયો તે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે. ડ્રાઇવરનો પગ એક્સીલેટર અને બ્રેકની વચ્ચે ફસાઈ ગયો હતોફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ, સવારે 6:30 વાગ્યાની આજુબાજુ ફાયર બ્રિગેડ કન્ટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે એસજી હાઇવે પર સોલા સિવિલ હોસ્પિટલ નજીક બસનો અકસ્માત થયો છે, જેથી થલતેજ ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે પીલ્લર સાથે અથડાઈ હતી અને ડ્રાઇવર ફસાઈ ગયો હતો અને ખૂબ જ ગંભીર સ્થિતિ હતી. ડ્રાઇવરને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે કટર અને અન્ય સાધનોની મદદ લેવામાં આવી હતી. ડ્રાઇવરનો પગ એક્સીલેટર અને બ્રેકની વચ્ચે ફસાઈ ચુક્યો હતો, જેથી ત્યાં પહોંચવામાં ખૂબ સમય લાગતો હતો. 15 જેટલા ફાયર જવાનોની કલાકની જહેમત બાદ ડ્રાઈવર બહાર નીકળ્યોફાયર બ્રિગેડની ટીમે કટરના સાધનોની મદદથી આસપાસનો ભાગ કાપી અને ડ્રાઇવરને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યો હતો અને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો. 15 જેટલા ફાયરના જવાનો દ્વારા એક કલાકની જહેમત બાદ ડ્રાઇવરને સહી સલામત બહાર કાઢી શકાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે, બસની આગળનો આખો ભાગ દબાઈ ગયો હતો અને ખૂબ મોટું નુકસાન સર્જાયું હતું. જોરદાર અવાજ આવતા હું દોડીને તરત ત્યાં ગયોઃ જય પટેલજય પટેલ નામના સ્થાનિક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, એસજી હાઇવે પર સોલા સિવિલ નજીક બ્રિજની નીચે કડિયા કામ કરું છું અને અહીંયા જ સૂતો હતો. અચાનક જ જોરથી બસ બ્રિજના પીલ્લર સાથે અથડાઈ હતી. જોરદાર ટક્કરનો અવાજ આવ્યો હતો એટલે હું દોડીને તરત ત્યાં ગયો હતો. બસના આગળનો ભાગ તૂટી ગયો અને કાચ વેર-વીખેર થઈ ગયા હતા. મેં દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ડ્રાઇવર ફસાઈ ગયો હતો. તેમને મેં સાંત્વના આપી હતી કે, અમે તમને બચાવી લઈશું. ‘લોકો ફોટા-વીડિયો ઉતારતા હતા, જે કરવું ના જોઈએ’બાદમાં પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જોકે, કેટલાક સ્થાનિક લોકો ફાયર બ્રિગેડને જાણ કરવાની જગ્યાએ મોબાઈલમાં ફોટો-વીડિયો ઉતારવામાં વ્યસ્ત રહ્યા હતા. ડ્રાઇવરને સાંત્વના આપવાની જરૂરિયાત હતી, એની જગ્યાએ ફોટા-વીડિયો ઉતારતા હતા, જે કરવું ના જોઈએ.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 11:51 am

જામનગરમાં CCTV કેમેરાના પોલને નુકસાન:અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતાં પોલીસ ફરિયાદ

જામનગરના બેડી વિસ્તારમાં પોલીસ વિભાગના સીસીટીવી કેમેરાના પોલને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું છે. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના બેડેશ્વર રેલવે ઓવરબ્રિજ ઉતરતાની સાથે વાલસુરા રોડ પર બની હતી. જામનગર પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ વિભાગ હસ્તક લગાવવામાં આવેલા લોખંડના પોલ અને સીસીટીવી કેમેરાને નુકસાન થયું છે. કુલ રૂપિયા 53,536નું નુકસાન અંદાજવામાં આવ્યું છે. પરમદિવસે સવારે 11 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા ભારે વાહન ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી આ પોલને ટક્કર મારી હતી. આ બનાવ અંગે પોલીસના નેત્રમ વિભાગના એએસઆઈ પરેશભાઈ અમૃતલાલ ખાણધરે જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા બદલ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 11:51 am

ગુજરાતમાં ઠંડી-ગરમીનો ડબલ ડોઝ:હાડ થીજવતા પવનો ફૂંકાતા હવામાન વિભાગની 8 રાજ્યોને ચેતવણી, ધુમ્મસના કારણે ટ્રેન-ફ્લાઈટ સેવાઓ ખોરવાઈ શકે

ગુજરાતમાં હાલ રાત્રે હાડ થીજાવતી ઠંડી અને દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે રાજ્યમાં લઘુતમ તાપમાન 13.8થી 22.8 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 10 ફેબ્રુઆરી સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી અને હવામાન શુષ્ક રહેશે. એકાએક ઠંડી વધતા જનજીવન પર અસર જોવા મળીઉત્તર ભારતમાં હવામાને ફરી પલટો લીધો છે. અચાનક વધેલી ઠંડીને કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે. સવારની શરૂઆત ધુમ્મસ સાથે થઈ રહી છે અને સાંજ પડતાં ઠંડીનો વધુ અહેસાસ થઈ રહ્યો છે. પર્વતીય વિસ્તારોમાં સતત બરફવર્ષા થઈ રહી છે, જ્યારે મેદાની વિસ્તારોમાં હાડ થીજાવતા પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત 8 રાજ્યોમાં ચેતવણી જાહેર કરી છે. ધુમ્મસના કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટી રહી છે, જેના કારણે ટ્રેન અને ફ્લાઇટ સેવાઓ ખોરવાઈ જવાની શક્યતા વધી છે. 11 ફેબ્રુઆરીથી મહત્તમ તાપમાનમાં ફરી વધારો થવાની શક્યતાગુજરાતમાં હાલ ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, 7થી 11 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહી શકે છે, જેના કારણે દિવસના તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળશે. ત્યારબાદ 11 ફેબ્રુઆરીથી મહત્તમ તાપમાનમાં ફરી વધારો થવાની શક્યતા છે. જોકે, રાત્રી દરમિયાન ઠંડીનો અહેસાસ યથાવત રહેશે. પવનની ગતિ આજથી ઘટશે, પરંતુ 11થી 16 ફેબ્રુઆરી દરમિયાન ફરીથી પવનની ઝડપ વધીને 15 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ થઈ શકે છે. આજે રાજ્યના વિવિધ શહેરોમાં નોંધાયેલું લઘુતમ તાપમાનઅમદાવાદ 18.6C, અમરેલી 17C, વડોદરા 19.4C, ભાવનગર 20.2C, ભુજ 16.8C, દમણ 19.8C, દીવ 18.7C, દ્વારકા 19.2C, ગાંધીનગર 17.8C, કંડલા 18.5C, નલિયા 13.8C, ઓખા 20.4C, પોરબંદર 20.3C, રાજકોટ 18.5C, સુરત 22.8C અને વેરાવળ 20.5C. હવામાન વિભાગે લોકોને ધુમ્મસ અને પવનની સાવચેતી રાખવાની સલાહ આપી છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 11:36 am

મોરબીમાં ચોરખાનાવાળા ડમ્પરમાંથી લાખોનો દારૂ જપ્ત:બે આરોપીની ધરપકડ, કુલ ₹20.68 લાખનો મુદ્દામાલ કબજે

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ નજીક પોલીસે દારૂની હેરાફેરી કરતું એક ટ્રક ડમ્પર ઝડપી પાડ્યું છે. આ ડમ્પરમાં ચોરખાનું બનાવીને વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. પોલીસે કુલ ₹20.68 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા દારૂના જથ્થામાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 2652 બોટલો અને 162 બીયર ટીનનો સમાવેશ થાય છે. આ દારૂ અને બીયરની કુલ કિંમત ₹5,40,600 આંકવામાં આવી છે. દારૂ-બીયર ઉપરાંત, પોલીસે દારૂની હેરાફેરીમાં વપરાયેલું ટ્રક ડમ્પર, એક મોબાઈલ ફોન અને 29 ટન માટી પણ કબજે કરી છે. આ સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત ₹20,68,195 થાય છે. મોરબી તાલુકા પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મોરબી એલસીબીના પીઆઇ એમ.પી. પંડ્યાની સૂચના મુજબ સ્ટાફને ખાનગી બાતમી મળી હતી. બાતમી અનુસાર, જીજે 9 એયુ 9274 નંબરનું એક ટ્રક ડમ્પર હળવદ તરફથી મોરબી આવી રહ્યું હતું. આ ડમ્પરમાં માટી ભરેલી હતી અને ડ્રાઈવર કેબિનની પાછળ બોડીના આગળના ભાગે એક ચોરખાનું બનાવીને વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી હતી. આ બાતમીના આધારે, મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફે ઉંચી માંડલ ગામ નજીક સ્પેરોન કારખાના પાસે રોડ પર વાહન ચેકિંગ અને વોચ ગોઠવી હતી. બાતમીવાળું ડમ્પર ત્યાંથી પસાર થતાં તેને રોકીને સઘન તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન, ડમ્પરના ડ્રાઈવર કેબિનની પાછળના ભાગે બનાવેલા ચોરખાનામાંથી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપીઓ અજયભાઈ કાન્તીલાલ ડામોર (રહે. શીસોદ ગામ, તા. બીછીવાડા, રાજસ્થાન) અને રાહુલ અર્જુનલાલ વિહાત (રહે. બોખલા બેરી ફળીયા, તા. બીછીવાડા, રાજસ્થાન)ની ધરપકડ કરી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ બંને આરોપીઓ ઉપરાંત, માલ મોકલનાર મહેશ નામની વ્યક્તિ અને માલ મંગાવનાર અન્ય અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમને પકડવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પીઆઇ એમ.પી. પંડ્યાની સૂચના હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 11:34 am

હિંમતનગર અષ્ટવિનાયક મંદિરમાં સંકટચોથની ઉજવણી:ગણપતિદાદાને 21 કિલો ચીકુ અને દ્રાક્ષનો શણગાર અર્પણ

હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં આવેલા વિનાયકનગરના અષ્ટવિનાયક ગણપતિ મંદિરમાં ગુરુવારે સંકટચોથની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ગણપતિદાદાને 21 કિલો ચીકુ અને દ્રાક્ષનો વિશેષ શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ભક્તોએ આ અનોખા દર્શનનો લાભ લીધો હતો. સંકટચોથની ઉજવણીના ભાગરૂપે, સવારે 5:30 કલાકે ગણપતિદાદાનો અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સવારે 6:15 કલાકે આરતી યોજાઈ હતી. રામભરોસે યજમાન દ્વારા સવારે 6:45 કલાકે પૂજન-અર્ચન સાથે ધ્વજારોહણ કરાયું હતું. દિવસભર ભક્તોએ ગણપતિદાદાને કરાયેલા ચીકુ અને દ્રાક્ષના શણગારના દર્શન કર્યા હતા. મંદિરમાં સાંજે 6:15 કલાકે આરતી કરવામાં આવશે અને રાત્રે 9.48 કલાકે ચંદ્રદર્શન થશે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 11:29 am

ગીર સોમનાથના ઉકડીયા ગામે સિંહની લટાર:બાપા સીતારામની મઢૂલી નજીક CCTVમાં કેદ

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ઉકડીયા ગામે ફરી એકવાર સિંહના આંટાફેરાથી ગ્રામજનોમાં ભય અને ચિંતા વ્યાપી છે. ગત મોડી રાત્રે શિકારની શોધમાં આવેલો એક સિંહ ગામની ગલીઓમાંથી પસાર થતો CCTV કેમેરામાં કેદ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના ઉકડીયા ગામમાં બાપા સીતારામની મઢૂલી નજીક બની હતી. શાંત વાતાવરણ વચ્ચે અચાનક સિંહની હાજરીથી ગ્રામજનોમાં દહેશત ફેલાઈ હતી. રાત્રિના સમયે ગામની ગલીઓમાં નિર્ભય રીતે ફરતા સિંહના દ્રશ્યો CCTVમાં સ્પષ્ટપણે જોવા મળ્યા હતા, જેણે ઘટનાની ગંભીરતા દર્શાવી હતી. ગામમાં અગાઉ પણ વન્ય પ્રાણીઓના આંટાફેરાની ઘટનાઓ નોંધાઈ ચૂકી છે. જોકે, આ વખતે સિંહ ગામના મધ્ય ભાગ સુધી પહોંચી જતાં લોકોમાં વધુ ભય ઊભો થયો છે. ખાસ કરીને રાત્રિ સમયે બહાર નીકળતા લોકો અને પશુપાલકોમાં ચિંતા વધી છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગને તાત્કાલિક માહિતી આપવામાં આવી હતી. વન વિભાગની ટીમ દ્વારા વિસ્તારમાં નજર રાખવામાં આવી રહી છે. ગ્રામજનોને રાત્રિ સમયે બિનજરૂરી બહાર ન નીકળવા, બાળકોને ઘરમાં જ રાખવા અને કોઈપણ રીતે સિંહને ઉશ્કેરવાનો પ્રયાસ ન કરવા અપીલ કરવામાં આવી છે. વન અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગીરના જંગલ વિસ્તાર નજીક આવેલા ગામોમાં સિંહો શિકાર અથવા માર્ગ બદલવાના કારણે ક્યારેક પ્રવેશ કરે છે. હાલ સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડશે તો સિંહને જંગલ તરફ ખદેડવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ઉકડીયા ગામમાં સિંહની લટારની આ ઘટના ફરી એકવાર માનવ અને વન્યજીવન વચ્ચે વધતા સંપર્કની ગંભીરતા દર્શાવે છે. આવા સંજોગોમાં ગ્રામજનોની સલામતી અને સાવચેતી સૌથી મોટો મુદ્દો બની રહે છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 11:18 am

બોટાદમાં ઘર બહાર ઇલેક્ટ્રિક મીટરને આગ લગાવવાનો પ્રયાસ:પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, પોલીસ ફરિયાદ નોંધાઈ

બોટાદ શહેરના લાતી રોડ વિસ્તારમાં એક પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી, ઘર બહાર ઇલેક્ટ્રિક મીટરને આગ લગાવવાનો પ્રયાસ કરાયો હતો. આ મામલે પીડિત પરિવારની મહિલાએ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, પીડિતાની નાની બહેનના પતિ સાજીદભાઈ સલીમભાઈ બીનબકર રાત્રીના સમયે રીક્ષામાં આવ્યા હતા. તેમણે પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત, આરોપીએ પરિવારની એક મહિલા સભ્યને લઈ જવાની પણ ધમકી આપી હતી. આ ઘટના બાદ આરોપી સાજીદભાઈએ પીડિતના મકાનની બહાર લગાવેલા ઇલેક્ટ્રિક મીટર પર પેટ્રોલ છાંટી આગ ચાંપવાનો પ્રયાસ કર્યો હતો. આ કૃત્યથી પરિવારજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. બોટાદ ટાઉન પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 11:18 am

પોરબંદરમાં મહિલાને ₹30,000 રોકડા ભરેલી બેગ પરત મળી:નેત્રમ પ્રોજેક્ટની સતર્કતા અને વયોવૃદ્ધ રિક્ષાચાલકની ઈમાનદારીએ મહિલાની મૂડી બચાવી

પોરબંદરમાં 'વિશ્વાસ પ્રોજેક્ટ' હેઠળના નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અને એક પ્રામાણિક રિક્ષાચાલકની મદદથી એક મહિલાને તેમની ગુમ થયેલી બેગ પરત મળી છે. આ બેગમાં ₹30,000 રોકડા, જરૂરી દસ્તાવેજો અને અન્ય સામાન હતો. ગણતરીના કલાકોમાં જ આ કિંમતી સામાન મહિલાને પરત અપાયો હતો. શાંતીબેન નામના મહિલા ગત રોજ બપોરે આશરે 4:15 વાગ્યે નરસંગ ટેકરીથી સુદામા ચોક જવા માટે રિક્ષામાં બેઠા હતા. સુદામા ચોક ઉતરતી વખતે ઉતાવળમાં તેઓ પોતાની બેગ રિક્ષામાં જ ભૂલી ગયા હતા. બેગ ગુમ થયાની જાણ થતાં શાંતીબેને તાત્કાલિક પોરબંદર પોલીસના નેત્રમ સેન્ટરનો સંપર્ક કર્યો હતો. નેત્રમ સ્ટાફે વિલંબ કર્યા વગર વિશ્વાસ પ્રોજેક્ટના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું. ફૂટેજમાં GJ06AV3228 નંબરવાળી એક શંકાસ્પદ રિક્ષા જોવા મળી હતી, જેના પર 'જય મામાદેવ-KISMAT' લખેલું હતું. ત્યારબાદ હ્યુમન સોર્સ અને ટેકનિકલ મદદથી રિક્ષાચાલકનો સંપર્ક કરવામાં આવ્યો. રિક્ષાચાલક એક વયોવૃદ્ધ દાદા હતા, જેમણે અત્યંત પ્રામાણિકતા દાખવીને મહિલાની બેગ સુરક્ષિત રીતે પરત કરી. નેત્રમ સ્ટાફની હાજરીમાં શાંતીબેનને તેમની રોકડ રકમ અને દસ્તાવેજો સાથેની બેગ પરત સોંપવામાં આવી. પોતાનો કિંમતી સામાન અને મહેનતના પૈસા પાછા મળતા શાંતીબેને પોરબંદર પોલીસ, નેત્રમ સ્ટાફ અને પ્રામાણિક રિક્ષાચાલક દાદાનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 11:16 am

ઇન્સ્ટાગ્રામ પર નશાનો વીડિયો વાયરલ:પોલીસે ડિલીટ કરાવી, ભવિષ્યમાં આવા વીડિયો ન બનાવવાની બાંહેધરી લીધી

ધ્રાંગધ્રાના કંકાવટી ગામના એક ઇન્સ્ટાગ્રામ પેજ 'R2H official gujarati' પર નશાને પ્રોત્સાહન આપતો વીડિયો વાયરલ થયો હતો. આ પેજના 5.63 લાખ ફોલોવર્સ છે. પોલીસને આ વીડિયો અંગે ફરિયાદ મળ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન, વીડિયો બનાવનારાઓએ કબૂલ્યું હતું કે તેઓ નશાનો દેખાવ કરવા માટે જીરા સોડાનો ઉપયોગ કરતા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આ વીડિયો ડિલીટ કરાવ્યો હતો. વીડિયો બનાવનારાઓએ માફી માગી હતી અને ભવિષ્યમાં વ્યસનને પ્રોત્સાહન આપતા આવા કોઈ વીડિયો નહીં બનાવવાની બાંહેધરી આપી હતી.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 11:08 am

ભરૂચ હાઈવે પર યુવતીનો આત્મહત્યાનો પ્રયાસ:GRD જવાન અને પોલીસે સમયસર બચાવી, કાઉન્સેલિંગ બાદ પરિવારને સોંપી

ભરૂચના સ્વામીનારાયણ મંદિર સામે હાઈવે પર એક યુવતીએ પારિવારિક કારણોસર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ફરજ પર હાજર GRD જવાન અને પોલીસે સમયસર દખલગીરી કરીને યુવતીનો જીવ બચાવ્યો હતો. ત્યારબાદ યુવતીનું કાઉન્સેલિંગ કરીને તેને સુરક્ષિત રીતે પરિવારને સોંપવામાં આવી હતી. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે યુવતી હાઈવે પર કોઈ વાહનની આગળ કૂદી પડવા જેવી શંકાસ્પદ હરકતો કરતી જોવા મળી હતી. આ જોઈને GRD સભ્ય અરુણ ઠાકોરે તત્કાળ સતર્કતા દાખવી યુવતીને રોકી લીધી હતી અને સંભવિત દુર્ઘટના ટાળી હતી. અરુણ ઠાકોરે તાત્કાલિક ભરૂચ “સી-ટીમ” અને પોલીસ ઇન્સ્પેકટર એન.આર.ચૌધરીને જાણ કરી હતી. પોલીસ ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી યુવતીને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન લઈ આવી હતી. પૂછપરછ દરમિયાન યુવતીએ જણાવ્યું કે પારિવારિક કારણોસર તે આત્મહત્યા કરવાના ઈરાદે હાઈવે પર આવી હતી. પોલીસે યુવતીના પરિવારજનોનો સંપર્ક કર્યો અને તેમને પોલીસ સ્ટેશન બોલાવ્યા. પોલીસ અધિકારીઓએ યુવતી અને તેના પરિવારજનોનું કાઉન્સેલિંગ કર્યું અને તેમને સમજાવ્યા. ત્યારબાદ યુવતીને તેના પરિવાર સાથે સુરક્ષિત રીતે ઘરે મોકલી દેવામાં આવી હતી. આ સમગ્ર બનાવમાં GRD સભ્ય અરુણ ઠાકોરની સમયસૂચકતા અને માનવતાભરી કામગીરી પ્રશંસનીય રહી છે, જેના કારણે એક યુવતીનો જીવ બચાવી શકાયો.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 11:06 am

બસમાં બેસવા મુદ્દે યુવતીને લાફો મરાયો:ઉંદેલ ચોકડીએ ઘટના, યુવક સામે ગુનો દાખલ

ખંભાત તાલુકાના ખટનાલ ગામની એક યુવતીને ઉંદેલની ખોડીયાર ચોકડીએ બસમાં બેસવા દેવા બાબતે ગામના જ યુવકે લાફો માર્યો હતો. આ મામલો ખંભાત રૂરલ પોલીસ મથકે પહોંચ્યો છે, જ્યાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ફરિયાદી હેલીબેન પુનમભાઈ પટેલ (ઉ.વ. 19) ખટનાલ ગામના નારણપુરા ખાતે રહે છે. તેઓ પેટલાદની આર. કે. પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં એફવાયબીએસસીનો અભ્યાસ કરે છે. ઘટના સમયે હેલીબેન તેમની બહેનપણીઓ પૂર્વીબેન સંદિપભાઈ પટેલ અને હેપ્પી જીતેન્દ્રભાઈ પટેલ સાથે કોલેજ જવા માટે ઉંદેલની ખોડીયાર ચોકડીએ બસની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન ગામમાં જ રહેતો મનિષભાઈ વિષ્ણુભાઈ રબારી ત્યાં આવી પહોંચ્યો હતો અને હેલીબેનને ગાલ ઉપર લાફો મારી દીધો હતો. હેલીબેને લાફો મારવાનું કારણ પૂછતાં મનિષભાઈએ જણાવ્યું કે, 'ગઈકાલે તે મારા મિત્રોને બસમાં સીટ ઉપર કેમ બેસવા ના દીધા?' હેલીબેને સ્પષ્ટતા કરી કે તેમણે તેમના મિત્રો માટે જગ્યા રોકી હતી, તેથી મનિષભાઈના મિત્રોને ત્યાં બેસવાની ના પાડી હતી. આ સાંભળીને મનિષભાઈએ ધમકી આપતા કહ્યું, 'હું રબારીનો છોકરો છું, તારાથી જે થાય તે કરી લેજે, અને તમારામાં તાકાત હોય તો ખટનાલ રબારીવાસમાં આવી જજો.' હેલીબેનના મિત્રો તેમજ પિનાકીનભાઈ જયંતિભાઈ પટેલે મનિષભાઈને પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ધક્કો મારીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ હેલીબેને ખંભાત રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 10:46 am

પોરબંદર JCI દ્વારા આંતર કોલેજ વકતૃત્વ સ્પર્ધા યોજાઈ:ડો. ગોઢાણીયા કોલેજ પ્રથમ, ગ્રીષ્મા વારા વ્યક્તિગત શ્રેણીમાં વિજેતા

જેસીઆઈ (જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ) પોરબંદર દ્વારા વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓને મંચ પૂરો પાડવાના હેતુથી આર્ય કન્યા ગુરુકુલ કોલેજ ખાતે આંતર કોલેજ વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શહેરની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની વકતૃત્વ કલાનું પ્રદર્શન કર્યું હતું. યુવા વક્તાઓએ વર્તમાન સમયના પ્રસ્તુત એવા વિવિધ વિષયો પર છટાદાર રજૂઆત કરી હતી. મુખ્ય વિષયોમાં 'યુવાનોમાં વધતો માનસિક તણાવ: કારણો અને ઉપાયો', 'ભારતીય લોકશાહી: મજબૂત પાયો કે બદલાતી ઓળખ?' અને 'AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને માણસ: ભવિષ્યની દિશા' નો સમાવેશ થતો હતો. સ્પર્ધાના અંતે નિર્ણાયકો દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. વ્યક્તિગત શ્રેણીમાં ડો. વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજની ગ્રીષ્મા વારા પ્રથમ, માધવાણી કોલેજની હિનલ મોકરિયા દ્વિતીય અને ગુરુકુલ મહિલા કોલેજની અફસાના ખરજ તૃતીય સ્થાને રહી હતી. કોલેજ વિભાગમાં, સમગ્ર સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ડો. વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજને પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડો. ઋષિકા હાથી અને બિરાજ કોટેચાએ સેવા આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે જેસીઆઈ પ્રમુખ પ્રતીક લાખાણી, પૂર્વ પ્રમુખ બિરાજ કોટેચા, સેક્રેટરી વિવેક લાખાણી તથા પ્રોજેક્ટ ટીમના અંકિત દત્તાણી અને ધૈર્ય દતાણીએ જહેમત ઉઠાવી હતી. જેસીઆઈ પોરબંદર દ્વારા આ સ્પર્ધા માટે જરૂરી વ્યવસ્થા અને સહયોગ પૂરો પાડવા બદલ આર્ય કન્યા ગુરુકુલના આચાર્ય ડો. અનુપમ નાગર તથા સમગ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 10:45 am

લાલજી દેસાઈએ કલાકારો પર નિશાન સાધ્યું:ખેડૂત સભામાં અદાણી-અંબાણી મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા; વીડિયો વાઇરલ

મોરબીના ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે યોજાયેલી ખેડૂત સભામાં રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈએ ગુજરાતના કલાકારો વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. તેમણે અદાણી અને અંબાણી મુદ્દે સરકાર પર પ્રહાર કરતા આ ટિપ્પણી કરી હતી. આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ સભાનું આયોજન ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા બે દિવસ પહેલા કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાં ખાનગી વીજ કંપનીઓ દ્વારા વીજ પોલ ઉભા કરવા છતાં ખેડૂતોને પૂરતું વળતર ન મળવા અથવા વળતર અંગે સ્પષ્ટતા ન થવાને કારણે ખેડૂતોમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે. આ આક્રોશને વાચા આપવા માટે આ સભા યોજાઈ હતી. આ સભામાં કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના પાલભાઈ આંબલીયા, જયેશભાઈ પટેલ, મહેશભાઈ રાજકોટિયા અને લાલજીભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. તેમણે ખેડૂતોને સંબોધતા સરકારની નીતિઓ પર પ્રહારો કર્યા હતા. સભાને સંબોધતા લાલજીભાઈ દેસાઈએ વર્તમાન સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે શિક્ષણના વ્યાપારિકરણનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, એક ઈસ્ટ ઈન્ડિયા કંપની આવી હતી અને 200 વર્ષ સુધી રાજ કર્યું હતું. હાલમાં તો ત્રણ-ત્રણ વેસ્ટ ઈન્ડિયા કંપનીઓ છે – ટાટા, અંબાણી અને અદાણી, જે બધા ગુજરાતી છે. તેમણે વધુમાં કલાકારોને નિશાન બનાવતા કહ્યું કે, ગુજરાતના કલાકારો હાલમાં 'અંબાણી ગુજરાતી, અદાણી ગુજરાતી...' જેવા ગીતો ગાય છે. જેઓ ગુજરાતને લૂંટે છે તેમને ગુજરાતી કહીને ગુજરાતીઓનું નાક કાપશો નહીં. દેસાઈએ માગ કરી કે જો અદાણી અને અંબાણી ગુજરાતી હોય તો સ્કૂલથી લઈને કોલેજ સુધીનું શિક્ષણ મફત કરવું જોઈએ. તેમણે ભુજમાં ભૂકંપ પછી લોકોના ટેક્સના પૈસાથી બનેલી હોસ્પિટલ પણ અદાણીએ લઈ લીધી હોવાનો આરોપ લગાવ્યો હતો. લાલજીભાઈ દેસાઈની આ ટિપ્પણીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતા રાજકીય વર્તુળોમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 10:37 am

હવે રાજકોટ જીલ્લા પંચાયતમાં બજેટના પડધમ:તા. 20એ કારોબારી અને 27મી ફેબ્રુઆરીએ સામાન્ય સભામાં રજૂ થશે અંદાજપત્ર, સભ્યોની ગ્રાન્ટમાં 10% વધારાની શક્યતા

રાજકોટ મનપાનું બજેટ ગઈકાલે મ્યુ. કમિશ્નર તુષાર સુમેરા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીને સોંપી દેવામાં આવ્યું છે. અને ટૂંક સમયમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ફેરફારો સાથેનું બજેટ મંજુર કરવામાં આવનાર છે. ત્યારે હવે રાજકોટ જીલ્લા પંચાયતમાં પણ વર્તમાન ટર્મ પૂર્ણ થવાને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોય નાણાકીય વર્ષ 2026-27નું પૂર્ણ કદનું બજેટ રજૂ કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. પંચાયતોની ચૂંટણીઓ પાછળ ઠેલાવાના સંકેતો વચ્ચે શાસક પક્ષ દ્વારા આ ટર્મનું છેલ્લું બજેટ રજૂ કરવા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં સભ્યોની ગ્રાન્ટમાં વધારો થવાની શક્યતા છે. જાણવા મળતી વિગતો મુજબ, 20 ફેબ્રુઆરીના રોજ કારોબારી સમિતિની બેઠક બોલાવવામાં આવશે, જેમાં બજેટની દરખાસ્તો રજૂ કરી તેને મંજૂરી આપવામાં આવશે. બાદમાં 27 ફેબ્રુઆરીના રોજ સામાન્ય સભામાં આ બજેટને આખરી ઓપ આપી બહાલી આપવામાં આવશે. જોકે, શાસકો અને વહીવટી તંત્રની અનુકૂળતા મુજબ તારીખોમાં એક-બે દિવસનો ફેરફાર થઈ શકે છે, પરંતુ ફેબ્રુઆરીનાં અંત સુધીમાં બજેટ પ્રક્રિયા પૂર્ણ કરી લેવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જીલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન સંજયભાઈ રંગાણી અને કારોબારી ચેરમેન પી.જી.કીયાડા દ્વારા જીલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશમોહન સાથે થયેલી બેઠકમાં બજેટ અંગે પ્રાથમિક ચર્ચાઓ પૂર્ણ કરવામાં આવી છે. જીલ્લા પંચાયતના બજેટમાં આ વર્ષે સ્વભંડોળની આવકમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે. પંચાયત પાસે હાલ પૂરતું ભંડોળ ઉપલબ્ધ હોવાથી દરેક સભ્યને પોતાના વિસ્તારના વિકાસકામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં 10% નો વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે. વિભાગવાર ફાળવણીના આંકડાઓ સ્પષ્ટ થયા બાદ શાસક પક્ષના સભ્યો અને અધિકારીઓ વચ્ચે બેઠક યોજાશે, જેમાં ખેતીવાડી, આરોગ્ય, બાંધકામ અને શિક્ષણ જેવા મહત્વના ક્ષેત્રો માટે બજેટમાં કેટલી જોગવાઈ કરવી તે નક્કી કરવામાં આવશે. નિયમ મુજબ, જીલ્લા પંચાયતનું બજેટ સૌ પ્રથમ કારોબારી સમિતિમાં રજૂ કરવામાં આવે છે. ત્યાં સભ્યો દ્વારા કરવામાં આવેલા સુધારા-વધારા અને ચર્ચાઓ બાદ તેને ભલામણ સાથે સામાન્ય સભામાં મોકલવામાં આવે છે. સામાન્ય સભામાં બહુમતીથી મંજૂર થયા બાદ તેને અમલી બનાવવામાં આવે છે. જોકે, વર્તમાન સભ્યો માટે એક ચિંતાનો વિષય એ પણ છે કે નવા નાણાકીય વર્ષની શરૂઆત એટલે કે એપ્રિલ મહિનામાં જ પંચાયતની મુદત પૂર્ણ થઈ રહી છે. આ સ્થિતિમાં, બજેટમાં ફાળવાયેલા રૂ. 10,00,000 કે તેનાથી વધુની રકમ વાપરવા માટે સભ્યોને પૂરતો સમય મળશે કે કેમ તે અંગે પ્રશ્નાર્થ સર્જાયો છે. રાજકોટ જીલ્લા પંચાયતના સૂત્રોએ જણાવ્યું છે કે, ટૂંક સમયમાં જ શાસકો અને તંત્ર વચ્ચે આયોજનબદ્ધ બેઠક યોજાશે જેમાં અંદાજપત્રના આંકડાઓને આખરી ઓપ આપવામાં આવશે. આ બજેટમાં ગ્રામીણ માળખાકીય સુવિધાઓ જેવી કે સીસી રોડ, ગટર વ્યવસ્થા અને પાણી પુરવઠાની યોજનાઓ માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવે તેવી શક્યતા છે. જીલ્લા પંચાયતની આ ટર્મની આ છેલ્લી મોટી સભાઓ હોવાથી તેને યાદગાર બનાવવા માટે શાસક પક્ષ મક્કમ દેખાઈ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 10:32 am

વડોદરામાં ટ્રાફિક નિયમનના લીરેલીરા ઉડાવનાર JCBના ચાલકની ધરપકડ:પોલીસ સ્ટેશનમાં કાન પકડીને કહ્યું: 'આ મારી ભૂલ હતી ફરીથી આવું ક્યારેય નહીં કરું', JCBમાં આગળ અને પાછળ સંખ્યાબંધ શ્રમિકોને બેસાડીને જીવ જોખમમાં મુક્યા

વડોદરા શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં એક જેસીબીમાં સંખ્યા બંધ શ્રમિકોને બેસાડી પૂરપાટ ઝડપે જોખમી સવારીનો વીડિયો વાયરલ થયો હતો. હરણી પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપી ડ્રાઇવરની ધરપકડ કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે પોલીસ સ્ટેશનમાં આરોપીને કાન પકડાવીને ઉઠક બેઠક કરાવી હતી અને ત્યારબાદ આરોપીએ કાન પકડીને માફી માગી હતી અને કહ્યું હતું કે, આ મારી ભૂલ હતી ફરીથી આવું ક્યારેય નહીં કરું. JCBના ‘સૂપડા’માં સાતથી આઠ લોકોને ઉભા રાખ્યા હતા વડોદરા શહેર અને હાઈવે પર અકસ્માતોના બનાવોમાં ધરખમ વધારો થયો છે. ટ્રાફિક નિયમોને નેવે મૂકી વાહનો હંકારતા ચાલકોના પાપે અનેક નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. તેમ છતાં આજે પણ ક્યાંકને ક્યાંક ચાલકો , પોલીસ વિભાગ અને આરટીઓની બેદરકારી જોવા મળી રહી છે. કેટલાક લોકો પોતાના અને બીજાના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે. તેવા એક જોખમી સવારીનો વીડિયો આજે વાયરલ થયો હતો. વડોદરા શહેરના ખોડિયાર નગર ચાર રસ્તાથી દરજીપૂરા હાઈવે તરફ જવાના માર્ગે પસાર થઈ રહેલા એક જેસીબીમાં આગળ અને પાછળ સંખ્યાબંધ શ્રમિકોને બેસાડી જોખમી સવારી કરવામાં આવી હતી. જેનો વીડિયો નજીકમાંથી પસાર થતા એક જાગૃત નાગરિકે ઉતારી વાયરલ કર્યો હતો. આ મામલે ટ્રાફિક પોલીસના હેડ કોસ્ટેબલે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને હરણી પોલીસે આરોપીમુમતાજ હકીમ મિયા આલમ (રહે. એરફોર્સ બ્રીજ પાસે, વડોદરા, મુળ રહે ગા મ કોદરકટ બનકટવા પૂર્વી ચંપારણ બિહાર)ની ધરપકડ કરીને બજે તપાસ શરૂ કરી છે. આટલા બધા શ્રમિકોને જેસીબીમાં બેસાડી પસાર થવા છતાં કોઈપણ ટ્રાફિક પોલીસ કર્મીની આની પર નજર ના પડી એ એક મોટો પ્રશ્ન છે. આ જેસીબીથી કોઈ અકસ્માત કે દુર્ઘટના સર્જાત તો જવાબદાર કોણ ? અગાઉ પણ ઘણી વખત આવી જોખમી સવારીના વીડિયો વાયરલ થયા હતા. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં અકસ્માતોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે, જેમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. ખાસ કરીને ભારદારી વાહનો બેફામ રીતે વાહનો હંકારીને લોકોના જીવ જોખમમાં મૂકી છે. રોજે રોજ અકસ્માતો થઈ રહ્યા છે. જેમાં અનેક પરિવારોના કુળદીપક બુઝાય છે. તેમ છતાં વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકે તે રીતે લોકોને વાહનોમાં બેસાડે છે. તેમ છતાં ટ્રાફિક પોલીસને કઈ દેખાતું નથી.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 10:28 am

જયરાજને ભાવનગર જિલ્લા જેલમાં VVIP ટ્રીટમેન્ટ:કાયદો બધા માટે સમાન હોવો જોઈએ, જેલ એ સજા ભોગવવાનું સ્થળ છે, સુવિધાઓ માણવાનું નહીં! - નવનીત બાલધિયા

ગંભીર ગુનાના આરોપીઓને ‘ખાસ મહેમાનગતિ’ પીરસાઈ રહી હોવાનો આક્ષેપ ભાવનગર જિલ્લા જેલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે જેલમાં બંધ ગંભીર ગુનાના આરોપીઓને જેલ પ્રશાસન દ્વારા નિયમો વિરુદ્ધ VVIP સુવિધાઓ આપવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો સાથે સામાજિક કાર્યકર નવનીતભાઈ ડાયાભાઈ બાલધિયાએ તપાસની માંગ કરી છે, આ બનાવ અંગે મળતી માહિતી મુજબ બગદાણા પોલીસ સ્ટેશનના ગંભીર ગુનાના મુખ્ય આરોપી જયરાજ માયાભાઈ ભમ્મર સહિતના અન્ય શખ્સોને જેલમાં સામાન્ય કેદીઓ કરતા અલગ અને વૈભવી સુવિધાઓ આપવામાં આવી રહી છે, જેલના નિયમ મુજબ જે ખોરાક બહારથી ન મળી શકે, તે આ આરોપીઓ માટે ખાસ વ્યવસ્થા દ્વારા પહોંચાડવામાં આવે છે, સૌથી ચોંકાવનારો આક્ષેપ એ છે કે, સાંજે 6 વાગ્યા પછી પણ આરોપીઓ માટે ભોજનની વ્યવસ્થા થાય છે અને અમુક કેસોમાં આરોપીઓને રાત્રે 8 વાગ્યા સુધી જેલની બહાર અવરજવર કરવાની છૂટ આપવામાં આવતી હોવાની પણ માહિતી મળી છે, ​નવનીતભાઈએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા જણાવ્યું છે કે, કાયદો બધા માટે સમાન હોવો જોઈએ, જેલ એ સજા ભોગવવાનું સ્થળ છે, સુવિધાઓ માણવાનું નહીં. તેમણે માંગ કરી છે કે જો જેલના CCTV ફૂટેજની તટસ્થ તપાસ કરવામાં આવે તો આ સમગ્ર કૌભાંડ અને જેલ અધિકારીઓની સંડોવણી બહાર આવી શકે તેમ છે. ડીજીપી જેલ વિભાગ ગુજરાત રાજ્ય તથા ડીઆઈજી જેલ વિભાગ ભાવનગર રેન્જ તથા જેલ અધિક્ષક જિલ્લા જેલ ભાવનગરને પત્ર પાઠવી વિવિધ માંગણીઓની તપાસ કરવાની માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 10:19 am

સુરત પોલીસની ચોરી થયેલી બાઈકને લઈને સ્પેશિયલ ડ્રાઇવ:પુણા પોલીસનો સપાટો, વાહનચોરીના મસમોટા રેકેટનો પર્દાફાશ; 9 બાઈક સાથે 3 ઝડપાયા

સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી વધી રહેલી વાહનચોરીની ઘટનાઓને ડામવા માટે સુરત પોલીસ એક્શન મોડમાં છે. આ દરમિયાન પુણા પોલીસ સ્ટેશનની ટીમને એક મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને વાહનચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે અને કુલ 9 મોટરસાયકલ રિકવર કરી છે. કેવી રીતે ઝડપાયું નેટવર્ક? પુણા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે શંકાસ્પદ હલચલના આધારે તપાસ કરતા ચોરીના વાહનો સાથે તસ્કરો પોલીસના હાથે ચડી ગયા હતા. આ ઓપરેશનમાં પોલીસે બે રીઢા આરોપીઓ સહિત એક કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરની અટકાયત કરી છે. અલગ-અલગ કંપનીની કુલ 9 બાઈક કબ્જે કરવામાં આવી છે. પુણા પોલીસે 2.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. આ ધરપકડથી વાહનચોરીના અન્ય વણઉકેલાયા ગુનાઓ ભેદ ઉકેલાય તેવી શક્યતા છે. બાઈક ચોરી કરતી ગેંગનો પર્દાફાશ ડીસીપી આલોક કુમારે જણાવ્યું કે, પુણા પી.આઈ. વી.એમ. દેસાઈના નેતૃત્વમાં પુણા ડી-સ્ટાફ દ્વારા એક સંયુક્ત બાતમીના આધારે બાઈક ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આમાં કુલ બે વ્યક્તિઓ છે અને એક સગીર છે, આમાં અમે કુલ 9 બાઈક્સ રિકવર કરી છે. જેમાંથી 3 બાઈક પુણા પોલીસ સ્ટેશનની ચોરીની છે. 3 બાઈક કડોદરા પોલીસ સ્ટેશનની ચોરીની છે. 1 બાઈક સલાબતપુરા, 1 કામરેજ અને 1 પલસાણા પોલીસ સ્ટેશનની છે. આરોપીઓની મોડસ ઓપરેન્ડી તેમની પદ્ધતિ એવી હતી કે જે બાઈક્સ જાહેર જગ્યાઓ પર હેન્ડલ લોક કર્યા વગરની પડી હોય તેને તેઓ ચોરી કરતા હતા, અને કેટલીક બાઈક્સના લોક તોડીને પણ ચોરી કરતા હતા. કુલ ત્રણ આરોપીઓમાંથી એક સગીર છે. બાકીના બેમાં ચિરાગ જેની ઉંમર 21 વર્ષ છે અને તે કડોદરાનો રહેવાસી છે. જયદીપ જેની ઉંમર 24 વર્ષ છે અને તે પણ કડોદરાનો રહેવાસી છે. બાઈક ચોરી વિરુદ્ધ એક સ્પેશિયલ ડ્રાઈવ ઝોન-1 માં બાઈક ચોરી વિરુદ્ધ એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું છે. જેમાં અત્યાર સુધી પુણા પોલીસ સ્ટેશને 9 બાઈક્સ ડિટેક્ટ કરી છે. વરાછા પોલીસ સ્ટેશને 8 બાઈક્સ ડિટેક્ટ કરી હતી. કાપોદ્રા પોલીસ સ્ટેશન 10 બાઈક્સ રાજસ્થાન અને મધ્યપ્રદેશથી રિકવર કરીને લાવ્યું હતું. આવી જ રીતે અમે સુરત શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં બાઈક ચોરીના ગુનાઓ ઉકેલવા પ્રયાસ કરી રહ્યા છીએ જેથી લોકોને તેમની પ્રોપર્ટી વહેલી તકે પાછી મળી શકે. આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ આ આરોપીઓનો જૂનો ગુનાહિત ઈતિહાસ પણ છે, તેઓ અગાઉ પણ ચોરીના કેસમાં સંડોવાયેલા છે. અમે વધુ તપાસ કરી રહ્યા છીએ કે કોઈ ગેરેજ કે એવી એજન્સી આમાં સામેલ છે કે જે ચોરીની બાઈક ખરીદતી હોય અને સામાન્ય જનતાને સસ્તા ભાવે વેચતી હોય.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 10:13 am

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ કાર્યવાહી:ખંભાત પોલીસે 39 ગુમ મોબાઈલ શોધી માલિકોને પરત કર્યા

ખંભાત સિટી પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સઘન તપાસ દ્વારા ગુમ થયેલા અથવા ચોરાયેલા કુલ 39 મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે. આ ફોન તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે. ખંભાત સિટી પોલીસ સ્ટેશન દ્વારા વિવિધ ગુનાઓ અને મળેલી અરજીઓના આધારે આ મોબાઈલનું ટ્રેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. લાંબા સમયથી ગુમ થયેલા આ ફોન શોધી કાઢવામાં આવ્યા બાદ, પોલીસ મથકે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મોબાઈલના અસલ માલિકોને બોલાવી, કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેમને તેમના ફોન પરત સોંપવામાં આવ્યા. ગુમ થયેલા મોબાઈલ પરત મળતા નાગરિકોએ ખંભાત પોલીસની કામગીરીની સરાહના કરી હતી.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 9:53 am

આણંદમાં પ્રોહિબિશનનો આરોપી ઝડપાયો:ત્રણ મહિનાથી ફરાર સાહિલ મલેકને પોલીસે દબોચ્યો

આણંદ ટાઉન પોલીસે પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી નાસતા-ફરતા આરોપી સાહિલ મલેકને ઝડપી પાડ્યો છે. પોલીસ અધિક્ષકની સૂચના મુજબ જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી. આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં સાહિલભાઈ દાઉદભાઈ મલેક (રહે. યાદગાર સોસાયટી, રેલ્વે ફાટક નજીક અને હાલ પરીખ ભુવન, આણંદ) છેલ્લા ત્રણ મહિનાથી ફરાર હતો. આ દરમિયાન, આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના એ.પી.સી. તીર્થરાજસિંહ ભૂપતસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી સાહિલ મલેક હાલ આણંદ વિસ્તારમાં જ છુપાયેલો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને સાહિલ મલેકને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પી.આઈ. વી.ડી. ઝાલા, પી.એસ.આઈ. એસ.બી. ઝાલા, હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ દિનેશભાઈ, પોલીસ કોન્સ્ટેબલ દીનુભાઈ સંગ્રામભાઈ અને તીર્થરાજસિંહ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 9:50 am

પાટણના ઓવરબ્રિજ પર ઐતિહાસિક વારસાની ઝલક:દીવાલો પર રાણીની વાવ, સહસ્ત્રલિંગ તળાવના શિલ્પો કંડારાશે

પાટણ શહેરના રેલવે ફાટક પર નવનિર્મિત ટી-આકારના ઓવરબ્રિજને આકર્ષક બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા બ્યુટીફિકેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત બ્રિજની દીવાલો પર પાટણના ઐતિહાસિક વારસાને વોલ પેઈન્ટિંગ દ્વારા જીવંત કરવામાં આવી રહ્યો છે. શહેરની ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે બનાવાયેલા આ ઓવરબ્રિજને હવે કલાત્મક ઓપ આપવામાં આવી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા બ્રિજના સુશોભનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ અંતર્ગત, બ્રિજની દીવાલો પર પાટણની ઐતિહાસિક ઓળખ સમાન સ્થાપત્યોના ચિત્રો કંડારવામાં આવી રહ્યા છે. આ પ્રયાસ શહેરના પ્રવેશદ્વાર સમાન બ્રિજને નયનરમ્ય બનાવશે. કલાકારો દ્વારા વિશ્વપ્રસિદ્ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ 'રાણીની વાવ' અને ઐતિહાસિક 'સહસ્ત્રલિંગ તળાવ' જેવા પૌરાણિક શિલ્પ સ્થાપત્યોની પ્રતિકૃતિઓ વોલ પેઈન્ટિંગ સ્વરૂપે તૈયાર કરવામાં આવી રહી છે. આ નવતર પ્રયોગનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક નાગરિકો તેમજ અન્ય રાજ્યો અને શહેરોમાંથી આવતા પ્રવાસીઓને પાટણના ગૌરવશાળી સાંસ્કૃતિક વારસાની ઝલક પૂરી પાડવાનો છે. આ સજાવટને કારણે શહેરના મુખ્ય માર્ગોની સુંદરતામાં વધારો થશે. અત્યાધુનિક લાઇટિંગ અને કલાત્મક ચિત્રોને લીધે રાત્રિના સમયે પણ આ બ્રિજ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. વહીવટી તંત્રનો આ પ્રોજેક્ટ પાટણની ઐતિહાસિક ધરોહરને આધુનિક માળખાગત સુવિધાઓ સાથે જોડીને પ્રવાસન અને શહેરના સૌંદર્યીકરણને વેગ આપવાનો લક્ષ્યાંક ધરાવે છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 9:46 am

પાટણમાં 15 વૃક્ષનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરાયું:પર્યાવરણ સુરક્ષા માટે પાલિકાનો પ્રથમ વૈજ્ઞાનિક પ્રયોગ

પાટણ નગરપાલિકાએ પર્યાવરણ સુરક્ષા માટે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. શહેરના ચાણસ્મા હાઈવે પર રસ્તામાં નડતરરૂપ બનતા 15 વડ અને પીપળાના વૃક્ષોને કાપવાને બદલે વૈજ્ઞાનિક પદ્ધતિથી અન્ય સ્થળે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. આ પાલિકાનો પ્રથમ ટ્રી ટ્રાન્સપ્લાન્ટ પ્રોજેક્ટ છે. ચાણસ્મા હાઈવે પર અંબાજી નેળીયાના નાકા પાસે સારથીનગર ચોકમાં કેનાલ તરફ પાંચ વર્ષ પહેલા રોપાયેલા આ વૃક્ષો હવે વિશાળ કદના બન્યા હતા. તેઓ રસ્તામાં અવરોધરૂપ બનતા હતા. તેમને કાપવાને બદલે જીવતદાન આપવાના ઉદ્દેશ્યથી નગરપાલિકાએ આ નિર્ણય લીધો. નગરસેવક જયેશ પટેલ અને ચીફ ઓફિસર હિરલબેન ઠાકરના આયોજન હેઠળ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના બોટનિસ્ટ રોશન વિહોલની ટીમે આ કામગીરી હાથ ધરી. આ ટીમે અગાઉ 3500થી વધુ વૃક્ષોનું સફળતાપૂર્વક સ્થળાંતર કર્યું છે. બોટનિસ્ટ રોશન વિહોલે ટ્રી ટ્રાન્સપ્લાન્ટની વૈજ્ઞાનિક પ્રક્રિયા સમજાવતા જણાવ્યું કે, સ્થળાંતર પહેલા વૃક્ષોના પાંદડા અને ડાળીઓનું ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું. પાણીનો વ્યય અટકાવવા ફૂગનાશક અને બોડી એક્સનું મિશ્રણ લગાડાયું. ત્યારબાદ વૃક્ષના મૂળની ફરતે ગોળાકાર ખાડો કરી, મુખ્ય પોષક મૂળિયાં સમેત હાઈડ્રા મશીનથી વૃક્ષને બહાર કાઢવામાં આવ્યું. છાલ કે ડાળી પરના ઘસરકાની આડઅસર રોકવા મોરથુથુના દ્રાવણનો પાટો બાંધવામાં આવ્યો. નવા સ્થળે ખાડો કરી તેમાં જંતુનાશક દવા, ગ્રોથ પ્રમોટર અને વર્મી કમ્પોસ્ટ ખાતરનું મિશ્રણ ઉમેરી વૃક્ષનું પુનઃ સ્થાપન કરાયું છે. આ પદ્ધતિથી રોપાયેલા વૃક્ષો એક મહિનામાં ફરીથી પલ્લવિત થાય છે. નગરપાલિકાના ચીફ ઓફિસરના જણાવ્યા અનુસાર, પાટણમાં આ પ્રકારનો આ પ્રથમ પ્રયોગ છે. તેની સફળતા બાદ આગામી સમયમાં અન્ય સ્થળોએ પણ આ પદ્ધતિનો અમલ કરવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટમાં અંદાજે ₹30,000નો ખર્ચ થવાની શક્યતા છે. વૃક્ષોના સ્થળાંતર બાદ ખાલી થયેલી જગ્યા પર ભવિષ્યમાં સિનિયર સિટીઝન પાર્ક અથવા બગીચો બનાવવાનું પાલિકા દ્વારા આયોજન છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 9:44 am

પેટલાદમાં વરલી મટકાનો અડ્ડો ઝડપાયો:આણંદ LCBએ 5 શખ્સોને રૂ. 21,550 મુદ્દામાલ સાથે દબોચ્યા

આણંદ જિલ્લામાં જુગારની બદીને નાબૂદ કરવા માટે પોલીસ અધિક્ષક જી.જી. જસાણીની સૂચના બાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ મોટી કાર્યવાહી કરી છે. પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા વરલી મટકાના આંકડાના જુગાર પર દરોડો પાડીને પોલીસે 5 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. LCB પી.આઈ. એચ.આર. બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમો પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ખુશ શરદકુમારને સચોટ બાતમી મળી હતી કે પેટલાદના ખતીફવાડા સામે આવેલા એક જૂના મકાન પાસે ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો જુગાર ચાલી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. આણંદ LCBની રેઇડ દરમિયાન પેટલાદ ટાઉન વિસ્તારમાંથી વરલી મટકાનો જુગાર રમતા પાંચ શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. જેમાં પઠાણ વાડાનો આદિલખાન મોહતરમખાન પઠાણ, કાછીયાવાડનો ઇરફાનુદ્દીન નાજીમુદ્દીન કાજી, ઝંડાબજારનો રફીકઉદ્દીન શજાઉદ્દીન શેખ, ચબુતરી બજારનો ઇરફાનુદ્દીન મૈયુદ્દીન શેખ અને ગોલવાડ વિસ્તારનો વિરલકુમાર અરવિંદભાઈ રાણાનો સમાવેશ થાય છે. પોલીસે આ શખ્સો પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન અને જુગારનો અન્ય સામાન મળી કુલ રૂ. 21,550/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. આંકડા લખવાની સ્લીપ બુક અને પેન પણ જપ્ત કરવામાં આવી છે. જ્યારે બોરસદનો બહેતુલ્લાખાન પઠાણ નામનો એક આરોપી હાજર ન મળતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ મામલે પેટલાદ ટાઉન પોલીસ મથકે જુગાર ધારાની કલમ 12(અ) મુજબ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ ઓપરેશનમાં LCB પી.આઈ. એચ.આર. બ્રહ્મભટ્ટ, પી.એસ.આઈ. આઈ.જે. રાણા તથા એ.એસ.આઈ. દિલીપભાઈ, એચ.સી. યશપાલસિંહ અને પી.સી. ખુશ તથા તૌસીફ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 9:41 am

વલસાડમાં બાળકે 1 રૂપિયાનો સિક્કો ગળી લીધો:સિવિલ હોસ્પિટલના તબીબોએ સફળ ઓપરેશન કરી જીવ બચાવ્યો

વલસાડના ગુંદલાવ ખાતે રમત રમતમાં એક બાળકે એક રૂપિયાનો સિક્કો ગળી લીધો હતો. સિક્કો અન્નનળીમાં ફસાઈ જતાં બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. વલસાડ સિવિલ હોસ્પિટલના તબીબોએ તાત્કાલિક સફળ ઓપરેશન કરીને બાળકનો જીવ બચાવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, ગુંદલાવના સાઈનગર વિસ્તારમાં રહેતા શિવલાલ મહતોનો પુત્ર બુધવારે સાંજે ઘરે રમી રહ્યો હતો. આ દરમિયાન તેણે અચાનક હાથમાં આવેલો સિક્કો મોઢામાં નાખી દીધો અને ગળી ગયો. સિક્કો ગળી જતાં બાળકને ખાવા-પીવામાં અને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઈ હતી. પરિવારજનોએ બાળકને તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો. સિવિલ હોસ્પિટલના સીએમઓ ડૉ. કરણ ચંદેલના જણાવ્યા મુજબ, બાળકને બુધવારે દાખલ કરતા જ તેને ENT વિભાગમાં રિફર કરવામાં આવ્યો હતો. એક્સ-રે તપાસમાં સિક્કો બાળકની અન્નનળીમાં ફસાયેલો હોવાનું સ્પષ્ટ થયું હતું. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તબીબોની ટીમે તાત્કાલિક ઓપરેશન હાથ ધર્યું હતું. સફળતાપૂર્વક સિક્કાને બહાર કાઢવામાં આવ્યો હતો. હાલ બાળકની તબિયત સ્થિર છે અને તેમાં સુધારો જોવા મળી રહ્યો છે. ડૉ. કરણ ચંદેલે વાલીઓને અપીલ કરતા જણાવ્યું કે, નાના બાળકોની આસપાસ સિક્કા કે અન્ય નાની વસ્તુઓ ખુલ્લી ન રાખવી જોઈએ. જો આવી કોઈ ઘટના બને તો સમય બગાડ્યા વગર નજીકની હોસ્પિટલનો સંપર્ક કરવો અત્યંત જરૂરી છે. બાળકનો જીવ બચાવવા બદલ પરિવારજનોએ સિવિલ હોસ્પિટલના તબીબો અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 9:40 am

વાયદા બજારમાં 'ભૂકંપ': ચાંદીમાં 9%નો મસમોટો કડાકો, સોનું પણ તૂટ્યું; જાણો લેટેસ્ટ રેટ

Silver and Gold Price Crash : દેખીતી રીતે આજે સોના અને ચાંદીના બજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં 9% જેવો તોતિંગ ઘટાડો નોંધાયો છે, જેનાથી રોકાણકારોમાં ચિંતા પ્રસરી ગઈ છે. ચાંદીમાં મોટું ગાબડું MCX પર ચાંદીના ભાવમાં ₹24,196નો ઘટાડો થતા ભાવ ₹2,44,654 પર પહોંચી ગયા છે. જ્યારે સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ વચ્ચે ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

ગુજરાત સમાચાર 5 Feb 2026 9:34 am

ગૌવંશ લઈને જતી કારનો અકસ્માત:વાસણા-ચંદ્રનગર BRTS ટ્રેકના દરવાજા, લાઈટના પોલને નુકસાન, 3 શખસ ભાગી ગયા એકને સ્થાનિકોએ ઝડપ્યો

અમદાવાદના વાસણા ચંદ્રનગર BRTS બસ ટ્રેકમાં ગૌવંશ લઈને જતી કારનો અકસ્માત થયો હતો. BRTS ટ્રેકમાં બેફામ સ્પીડે ગૌવંશ ભરેલી ગાડી લઈને જતા કાર ચાલકે અકસ્માત સર્જયો હતો. જેમાં BRTS ટ્રેકના દરવાજા, લાઈટના પોલ તેમજ ડિવાઈડર સહિતની જગ્યાઓને નુકસાન થયું હતુ. અકસ્માત બાદ કાર ઊભી રહી ગઈ હતી અને એરબેગ ખુલી ગઈ હતી જેમાં કારમાંથી ત્રણ શખસ ભાગી ગયા હતા જ્યારે એક વ્યક્તિને સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યો હતો. લોકોએ ગાડીમાં જોતા ગૌવંશ હતું જેથી તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. BRTS બસ સ્ટેન્ડનો દરવાજો તોડી લાઈટના થાંભલા સાથે ગાડી અથડાઈમોડી રાત્રે વાસણા વિસ્તારમાં આવેલા ચંદ્રનગર BRTS ટ્રેકમાં જોરદાર અકસ્માત થયો હતો. ગૌવંશ લઇને જતી કારના ચાલકે બેફામ સ્પીડે BRTS ટ્રેકમાં ગાડી ચલાવી હતી લગભગ 100થી વધારેની સ્પીડમાં ગાડી હતી તે દરમિયાન અકસ્માત થયો હતો. જેમાં ગાડી ચંદ્રનગર BRTS બસ સ્ટેન્ડનો દરવાજો તોડી લાઈટના થાંભલા સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ડિવાઈડરને પણ નુકસાન થયું હતું. અકસ્માત થતાની સાથે જ ગાડી ઊભી રહી ગઈ હતી. 3 ભાગી ગયા એક પકડાયોઅકસ્માતનો અવાજ આવતાની સાથે જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. ગાડીમાં જોતા ખૂબ જ ખરાબ હાલતમાં ચાર જેટલા ગૌવંશ ખીચોખીચ રીતે ભરી રાખવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાયેલી ગાડીમાંથી ઉતરીને ત્રણ લોકો ભાગી ગયા હતા. જ્યારે એક વ્યક્તિને સ્થાનિક લોકોએ પકડી પાડ્યો હતો. ઘટના અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચી ગઈ હતી. પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. ગૌરક્ષકો પકડવા જતા હતા ત્યારે અકસ્માત સર્જાયોસ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ ગૌરક્ષકો દ્વારા ગૌવંશ લઈ જતી ગાડીનો પીછો કરવામાં આવી રહ્યો હતો ત્યારે કારચાલકે બેફામ સ્પીડે ગાડી ચલાવી હતી અને BRTS ટ્રેકમાં આ અકસ્માત કર્યો હોવાનું હાલ જાણવા મળ્યું છે. ગૌરક્ષકો ગૌવંશની તસ્કરી કરનારા લોકોને પકડવા જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો અને સમગ્ર બાબત સામે આવી હતી. પોલીસે એક આરોપીની અટક કરી બાકીના આરોપીની તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 9:03 am

પોરબંદરમાં DYSP ઓફિસ પાસે પત્રકાર પર હુમલો:ખનીજ ચોરીના અહેવાલો મુદ્દે ત્રણ અજાણ્યા શખસે પાઈપથી માર માર્યો

પોરબંદરમાં DYSP ઓફિસ અને કલેક્ટર કચેરી નજીક યુવા પત્રકાર ઓમ જોશી પર ત્રણ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. ખનીજ ચોરીના અહેવાલો લખવા બદલ તેમને પાઈપ વડે માર મારવામાં આવ્યો હતો. ગંભીર ઈજાઓ થતાં પત્રકારને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના સાંજે 5:30 થી 6:00 વાગ્યાના અરસામાં બની હતી. પત્રકાર ઓમ જોશી કલેક્ટર કચેરીથી માહિતી મેળવી પરત ફરી રહ્યા હતા ત્યારે DYSP (ગ્રામ્ય) ઓફિસની પાછળના ભાગે બાઇક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ તેમને આંતર્યા હતા. હુમલાખોરો લોખંડના પાઈપ અને ધોકા જેવા હથિયારોથી સજ્જ હતા. ઓમ જોશીએ જણાવ્યું કે, હુમલાખોરોએ તેમને ખનીજ ચોરી વિશે અહેવાલો લખવા બદલ નિશાન બનાવ્યા હતા. હુમલાખોરોએ કહ્યું કે, તું ખનીજ ચોરી વિશે અવારનવાર છાપામાં અહેવાલો લખે છે, આજે તો તને જીવતો મૂકવો જ નથી. ત્યાર બાદ તેમના પર પાઈપ વડે હુમલો કર્યો હતો. જીવ બચાવવા પત્રકાર કલેક્ટર કચેરી તરફ દોડ્યા હતા, પરંતુ તે દરમિયાન તેમના ડાબા હાથ પર પાઈપનો જોરદાર ફટકો વાગતાં ગંભીર ઈજા થઈ હતી. હુમલા દરમિયાન તેમની દોઢ તોલાની સોનાની વીંટી પણ ક્યાંક પડી ગઈ હોવાનું તેમણે જણાવ્યું છે. આ ઘટના બાદ પત્રકારે તાત્કાલિક 112 પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. હાલ તેમને વધુ સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પત્રકાર ઓમ જોશીએ આક્ષેપ કર્યો છે કે, આ હુમલા પાછળ કોઈ મોટી ગેંગ અથવા ખનીજ માફિયાઓનું કાવતરું હોઈ શકે છે. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 8:54 am

મોરબીમાં બ્રહ્માકુમારીઝનો 'સુખી જીવન' કાર્યક્રમ યોજાયો:જયંતી દીદીએ કહ્યું- વ્યક્તિગત પરિવર્તનથી વિશ્વ બદલી શકાય છે

મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સુખી જીવન કા સાર – સકારાત્મકતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બ્રહ્માકુમારીઝના એડિશનલ એડમિનિસ્ટ્રેટિવ હેડ બી.કે. જયંતિ દીદીએ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, વર્તમાન સમય કલયુગની અંતિમ ઘડી છે અને વ્યક્તિ પોતાનામાં પરિવર્તન લાવીને વિશ્વમાં પરિવર્તન લાવવામાં સહયોગ આપી શકે છે. આ કાર્યક્રમ મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલા ક્લાસિક પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો. જયંતિ દીદીની ઉપસ્થિતિમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો (ગેટ વે ટુ હેવન) અને દિવ્ય સુર ઝનકાર સંગીત સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીવાસીઓને સંબોધતા બી.કે. જયંતિ દીદીએ કહ્યું કે, આપણે સૌ પરમાત્માના સંતાનો છીએ અને બધામાં સકારાત્મક ઊર્જા રહેલી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આપણે માત્ર આપણામાં જ નહીં, પરંતુ આપણામાંથી બીજાને પણ સકારાત્મક ઊર્જા મળે તેવા પ્રયાસો કરવા જોઈએ. ઉલ્લેખનીય છે કે, રાજયોગી બ્રહ્માકુમારી ચંદ્રિકા દીદી પ્રજાપતિએ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયમાં 48 વર્ષ સુધી પોતાનું જીવન ઈશ્વરીય સેવામાં સમર્પિત કર્યું હતું. તેમનું અવસાન તા. 6/2/2025 ના રોજ થયું હતું. તેમની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તેમની સ્મૃતિમાં આ કાર્યક્રમ મોરબી ખાતે યોજવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 8:10 am

અમદાવાદમાં હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર પોલીસની રેડ:નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમમાં 81 યુવક-યુવતીઓની અટકાયત, મેડિકલ ટેસ્ટ ચાલુ

અમદાવાદમાં સાણંદ પોલીસે ગોરસ સીમ નજીક આવેલા 'નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમ'માં ચાલી રહેલી હાઈપ્રોફાઈલ દારૂ-હુક્કા મહેફિલ પર રેડ કરીને 80 જેટલા યુવક-યુવતીઓની અટકાયત કરી છે. આ મહેફિલ 'AV'ની 25મી એનિવર્સરીના નામે આયોજિત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોને આમંત્રિત કરાયા હતા. 11 ટેબલ પર કેક, હુક્કા અને દારૂ પીરસવામાં આવ્યો હતોમળતી માહિતી અનુસાર વિકેન્ડ હોમમાં ફૂડ કાઉન્ટર ગોઠવાયા હતા અને 11 ટેબલ પર કેક, હુક્કા અને દારૂ પીરસવામાં આવ્યો હતો. પોલીસે બાતમીના આધારે રેડ કરતાં જ મહેફિલમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે 80 યુવક-યુવતીઓની અટકાયત કરીને તેમને સાણંદની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા છે. આ રેઈડમાં 10થી વધુ હુક્કા અને અનેક દારૂની બોટલો કબ્જે કરવામાં આવી છે. અનેક મોટી હસ્તીઓ અને માલેતુજાર પરિવારના યુવક-યુવતીઓ હાજર અટકાયતમાં લેવાયેલા લોકોમાં 38 યુવતીઓ અને 43 યુવકોનો સમાવેશ થાય છે. આ પકડાયેલા પૈકી મોટા ભાગના લોકો 35થી 40 વર્ષથી વધુ વયના છે. પોલીસે જણાવ્યું કે, આ મહેફિલમાં અનેક મોટી હસ્તીઓ અને માલેતુજાર પરિવારના યુવક-યુવતીઓ હાજર હતા. પોલીસે ઘટનાસ્થળેથી મુદ્દામાલ કબ્જે કરવાની કામગીરી ચાલુ રાખી છે અને આગળની કાર્યવાહી માટે તપાસ ઝડપી બનાવી છે. અટકાયતમાં લેવાયેલા તમામ યુવાનોના મેડિકલ ટેસ્ટ ચાલુ આ ઘટના સાણંદ વિસ્તારમાં પ્રાઈવેટ પાર્ટીઓ અને દારૂ-હુક્કાના વધતા કેસો તરફ ધ્યાન દોરે છે. પોલીસે આવા કાર્યક્રમો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને સખત કાર્યવાહી કરવાની વાત કરી છે. હાલ તમામ અટકાયતમાં લેવાયેલા યુવાનોના મેડિકલ ટેસ્ટ ચાલુ છે અને તેમની ઓળખ અને પૃષ્ઠભૂમિની તપાસ પણ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 8:10 am

સાણંદમાં હાઈપ્રોફાઈલ પાર્ટીમાં દારૂ અને હુક્કાની મહેફિલ પર પોલીસના દરોડા, 80 યુવક-યુવતી ઝડપાયા

Ahmedabad Sanand News : અમદાવાદમાં સાણંદ પોલીસે બાતમીને આધારે રેઇડ કરીને એક નિર્વાણા ગ્રીન્સના વિકેન્ડ હોમમાં ચાલતી દારૂની મહેફિલ ગત રાત્રે ઝડપી પાડી છે. પોલીસે 80 જેટલા યુવક અને યુવતીની અટકાયત કરવામાં આવી છે. આ તમામના મેડિકલ ટેસ્ટ રાતે જ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, પોલીસ આ રેઇડ અંગે તમામ સામે ફરિયાદ નોંધી મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 80 જેટલાં લોકોની ધરપકડ

ગુજરાત સમાચાર 5 Feb 2026 7:53 am

સિદ્ધિ:અમરગઢ ડેન્ટલ કોલેજના હંસા ભોજને શ્રેષ્ઠ લાઈબ્રેરીયન એવોર્ડ

અમરગઢ(જીથરી) સ્થિત અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ હોસ્પિટલ લાઇબ્રેરિયન હંસા ભોજને તેમની ઉત્કૃષ્ટ સેવાઓ અને પ્રતિબદ્ધતા બદલ HSLACON–2026 બેસ્ટ લાઇબ્રેરીયન (ડેન્ટલ કોલેજ) એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ માધવ યુનિવર્સિટી, અબુ રોડ–પિંડવારા (રાજસ્થાન) ખાતે યોજાયેલા HSLACON–2026 નૅશનલ કોન્ફરન્સ દરમિયાન એનાયત કરવામાં આવ્યો હતો. આ પરિસંવાદનું આયોજન હેલ્થ સાયન્સ લાઇબ્રેરી એસોસિએશન, ગુજરાત દ્વારા “ડિજિટલાઇઝેશન અને લાઇબ્રેરીઓનું પુનઃઆકારણ: વિકાસશીલ ભારત 2047 માટેના વિવિધ ક્ષેત્રોમાં યોગદાન” વિષય હેઠળ કરવામાં આવ્યું હતું. હંસા ભોજને ડેન્ટલ શિક્ષણ ક્ષેત્રમાં લાઇબ્રેરી મેનેજમેન્ટ, ડિજિટલ સેવાઓ અને શૈક્ષણિક વિકાસ માટે આપેલા નોંધપાત્ર યોગદાન બદલ આ સન્માન પ્રાપ્ત થયું છે. તેમની પ્રતિબદ્ધતા અને વ્યાવસાયિક કુશળતાને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળતા સંસ્થા તેમજ સમગ્ર વિસ્તારમાં ગૌરવની લાગણી ઊભી થઈ છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 7:18 am

ગમખ્વાર અકસ્માત સર્જાયો:પાલિતાણામાં બોલેરો ચાલકે વૃધ્ધ મહિલાને અડફેટે લેતા મોત નિપજ્યું

પાલિતાણા ખાતે રહેતા એક વૃદ્ધ મહિલા ખુલ્લા મેદાનમાં બેસેલા હતા ત્યારે બોલેરો પીકઅપ વાહનના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા, બોલેરો પીકઅપ વાહન મેદાનમાં બેસેલા વૃદ્ધ મહિલા સાથે બોલેરોનો અક્સમાત થયો હતો. જે બાદ વૃદ્ધ મહિલા ઉપર બોલેરોનું ટાયર ફરી વળતા વૃદ્ધ મહિલાને ગંભીર હાલતે સારવારમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે વૃદ્ધ મહિલાને મૃત જાહેર કરતા પરિવારમાં ભારે શોક છવાઇ જવા પામ્યો હતો. જેમાં બોલેરોના ચાલક વિરૂદ્ધ પાલિતાણા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પાલિતાણાના વેલનાથ વાડી તળાવ વિસ્તારમાં રહેતા અને મૂર્તિકામ કરતા વિજયબાઇ બાબુભાઇ ભાટીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પંચ્યાશી વર્ષીય દાદી ગોદીબેન જીવાભાઇ ભાટી તેમની સાથે રહેતા હતા. તેમના દાદી ગોદીબેન આજે મંડપ સર્વિસના ગોડાઉન પાસે આવેલ ખુલ્લા મેદાનમાં બેઠા હતા જે દરમિયાન બોલેરો પીકઅપ વાહન નં. GJ 05 BV 5619 માંથી મંડપનો સામાન ઉતારી રહ્યા હતા અને બાદમાં બોલેરોના ચાલકે પીકઅપ શરૂ કરતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દિધો હતો અને ચાલકે ખુલ્લા મેદાનમાં બેસેલે ગોદીબેન ઉપર પીકઅપનો અકસ્માત કરતા, ગોદીબેન ઉપર બોલેરો પીકઅપનું ટાયર ફરી વળતાં તેમનું સારવાર દરમ્યાન મોત થયું હતું. પંચ્યાશી વર્ષીય ગોદીબેનનું અકસ્માતે મોત થતાં પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 7:18 am

વીજચોરી ઝડપાઇ:પાલિતાણા ડિવિઝનમાંથી રૂ.31 લાખની વીજચોરી ઝડપાઇ,વિજચોરો તંત્રની ઝપટે

PGVCL ભાવનગર સર્કલમાં GUVNLની કોર્પોરેટ ડ્રાઈવમાં પાલિતાણા ડિવિઝન નીચેના વિસ્તારોમાં વીજ ચેકિંગના દરોડા પાડવામાં આવ્યા હતા. PGVCLના પાલિતાણા ડિવિઝન નીચે આવતા તળાજા અને પાલિતાણા તાલુકાના ત્રાપજ, તળાજા-2, પીથલપુર અને ઘોડીઢાળ સબ ડિવિઝન નીચેના ગામોમાં વીજ ચેકિંગની કાર્યવાહીમાં રૂ.31 લાખની વીજચોરી પકડી પાડવામાં આવી હતી. PGVCL પાલિતાણા ડિવિઝન નીચેના વિસ્તારોમાં PGVCLની કોર્પોરેટની 12, સ્થાનિકની 24 અને GUVNLની 17 ટીમો મળી કુલ 53 ટીમોના કાફલા સાથે ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. વીજ ચેકિંગની કાર્યવાહીમાં 387 રહેણાકી અને 9 ખેતીવાડી શ્રેણીના મળી કુલ 396 વીજ જોડાણની તપાસ કરવામાં આવી હતી. જેમાં 126 રહેણાકી અને 3 ખેતીવાડી શ્રેણીના કુલ 129 વીજ જોડાણમાંથી ગ્રાહકોને વીજચોરી પકડી પાડવામાં આવ્યા હતા. પાલિતાણા ડિવિઝનમાં વીજ ચેકિંગના દરોડામાં તળાજા અને પાલિતાણા તાલુકાના તળાજા શહેર સહિત સોસીયા, રાજપરા, સાંખડાસર-2, સરતાનપર, નીચડી, ખંઢેરા, કંજરડા અને હાથસણી ગામોમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. વીજ ચેકિંગની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 12 એસ.આર.પી. જવાન, 20 GUVNL પોલીસ અને 12 લોકલ પોલીસનો કાફલો તૈનાત કરાયો હતો. તંત્રના ચેકીંગથી વિજચોરી કરનારાઓમાંમાં ભારે ફફડાટ ફેલાયો છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 7:17 am

ઠગાઇ:તળાજાના લોખંડના વેપારી સાથે 2.30 લાખની ઠગાઇ કરી

ભાવનગર જિલ્લાના તળાજાના લોખંડના વેપારી પાસેથી લાખો રૂપિયાના પતરા, લોખડના પાઇપોની બે શખ્સોએ ખરીદી કરી હતી અને જેના બદલામાં એક ચેક આપેલ હતો. જે ચેક પરત ફર્યો હતો. બગદાણા ગામે ગૌશાળાનો શેડ બનાવવાનું કહી, લાખો રૂપિયાની વસ્તુઓની ખરીદી કરી, ખોટા ચેક આપી, બે શખ્સોએ છેતરપિંડી આચરતા તળાજાના વેપારીએ તળાજા પોલીસ મથકમાં બે શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તળાજાના રામપરા રોડ પર રહેતા અને યાર્ડ નજીક દુકાન ધરાવતા અબ્બાસભાઇ હસનભાઇ કપાસીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બગદાણા ખાતે થી પંકજભાઇ બોલું છું તેમ કહી એક શખ્સે ફોન કર્યો હતો અને ફોનમાં અમારે બગદાણા ખાતે ગૌશાળા ખાતે માલ ઢોરનો શેડ બનાવવાનો હોય જેથી લોખંડના પાઇપો તેમજ પતરા જોવે છે તેમ કહી, ભાવતાલ નક્કી કરી, અબ્બાસભાઇ પાસેથી રૂા. 2,30,000ના લોખંડના પાઇપો, પતરાની ખરીદી કરી હતી અને તેના બદલામાં આઇસર મોકલી ડ્રાઇવર સાથે રૂા. 2.30 લાખનો ચેક મોકલ્યો હતો. વેપારીએ માલ સામાન ટ્રકમાં ભરી આપી, બીજા દિવસે આપેલ ચેક બેન્કમાં જમા કરાવતા જે ચેક પરત ફર્યો હતો. અને જે બાદ વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું જણાતા વેપારી અબ્બાસભાઇ હસનભાઇ કપાસીએ છેતરપિંડી કરનાર પંકજ તેમજ અજાણ્યા ડ્રાઇવર વિરૂદ્ધ તળાજા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જો કે, આ ટોળકી દ્વારા અનેક લોખંડના વેપારી સાથે ઠગાઇ આચરી હોવાનું જાણવા મળ્યું હતું અને અમરેલી જિલ્લા પોલીસ દ્વારા પાલિતાણાનો પંકજ ઉર્ફે જીગો નાવડીયા, વિજય ઉર્ફે ખીર પરમાર તેમજ બાબુ ગોહિલની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. અને આ ઘટનામાં સંડોવાયેલો વધુ એક શખ્સ અશરફ ઉર્ફે આપા જુણેજા ફરાર થઇ જતાં અમરેલી પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરાઇ છે. આ ટોળકીએ અમરેલી, જાફરાબાદ,ત મહુવા અને તળાજા વિસ્તારના લોખંડના વેપારીને નિશાન બનાવ્યા હતા. ત્રણ દિવસમાં તળાજા અને મહુવાના ત્રણ વેપારીઓ સાથે ઠગાઇ આચરીછેલ્લા ત્રણ દિવસમાં બે આરોપીએ તળાજા અને મહુવાના ત્રણ વેપારી સાથે લાખો રૂપિયાની ઠગાઇ આચરી હોવાની મહુવા ટાઉન પોલીસ અને તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે. ત્યારે ઠગાઇ કરનાર બંન્ને શખ્સે બગદાણા ખાતે ગૌશાળામાં પતરાનો શેડ બનાવવાનું બહાનું કાઢી સરખી મોડસ ઓપરેન્ડી અપનાવી લાખો રૂપિયાનો માલ સમાન ઓળવી ગયા. લાખો રૂપિયાની ઠગાઇ કરનાર શખ્સો હાથવેંતમાં : પોલીસ સુત્રોત્રણ જ દિવસમાં લાખો રૂપિયાની ઠગાઇની ફરિયાદ નોંધાવા પામતા પોલીસે પણ જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી અને ટેકનીકલ અને હ્યુમન સોર્સીસને કામે લગાડ્યા હતા. જે મામલે તળાજા પોલીસના અંગત સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, લાખોની ઠગાઇ કરનાર બંન્ને શખ્સો હાથવેંતમા હોવાનું અને ધરપકડ પણ થશે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 7:15 am

રેલવે સુવિધાઓમાં થશે વધારો:બજેટમાં ગુજરાત રેલવેને મોટી રકમ ફાળવાઇ, સુવિધાઓ વધશે : ભટ્ટ

ગુજરાતની રેલવે સુવિધાની વિવિધ યોજના માટે કેન્દ્રીય જનરલ બજેટ 2026-27માં 17,366 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ રકમની ફાળવણી થકી ધોલેરા, બોટાદની રેલવે સુવિધાઓને જડપી ન્યાય મળી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સૌરાષ્ટ્ર પેસેન્જર એસોસિએશન જોઈન્ટ સેક્રેટરી વંદે માતરમ સેવા સંઘના પ્રમુખ પૂર્વ કોર્પોરેટર શ્રીકિશોર ભટ્ટ જણાવ્યું હતુ કે, ભાવનગર-અધેળાઇ-ધોલેરા-અમદાવાદ રેલવે લાઇન માટે કામગીરી હવે આગળ ધપશે. અમદાવાદથી ધોલેરાની રેલવે લાઇન માટે જમીન સંપાદનનું કામ પણ શરૂ થયુ છે અને તેના માટે બે અધિકારીની નિયુક્તિ પણ કરી દેવામાં આવી છે. ઉપરાંત કોસ્ટલ રેલવે લાઇન ડેવલપ કરવાનું સરકારનું સ્વપ્ન છે, તેમાં મહુવા-તળાજા-અલંગ-ભાવનગરની રેલવે લાઇન પુન: શરૂ કરી શકાય તેના માટે કાર્યવાહી આગળ ધપવાના એંધાણ છે. ઢસા-જેતલસર-બોટાદ ગેજ કન્વર્ઝનની કામગીરી સંપન્ન થયા બાદ ભાવનગર રેલવે ડિવિઝનને ટ્રેનોને વેગ મળ્યો છે. અમરેલી-ખીજડીયા રેલવે લાઇનનું કામ ગતિમાં છે. ઉપરાંત ગઢડા-નિંગાળાની જૂની લાઇન પુન: શરૂ કરવામાં આવે તેવી માંગણી પણ પેસેન્જર એસો. દ્વારા કરવામાં આવી છે. બજેટમાં ગુજરાતના રેલવે માટે મોટી રકમની ફાળવણી કરવામાં આવતા, ભાવનગર, બોટાદ જીલ્લા રેલ્વે સુવિધાથી વંચિત તાલુકાઓને ભાવનગર, તળાજા, ઘોઘા, વલભીપુર, ગારીયાધાર, જેસર પણ ક્રમે ક્રમે રેલવે લાઇન સાથે જોડાય તેવી આશા મજબૂત બની રહી છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 7:14 am

પઠાણી ઉઘરાણી બદલ કાર્યવાહી:વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના પ્રમુખ, ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલાના આચાર્યની અટક

સુરતના બિલ્ડરે વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના પ્રદેશ પ્રમુખ, ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળાના આચાર્ય સહિત ચાર વ્યાજખોર શખ્સો વિરૂદ્ધ રૂા. 45.70 લાખની વ્યાજની પઠાણી ઉઘરાણી કરી તેના બદલામાં પાંચ વીઘા જમીનનો બળજબરીથી દસ્તાવેજ કરાવી, જમીન દોઢેક કરોડ રૂપિયામાં ગેરકાયેદસર રીતે વેચાણ કરી નાંખી હતી. ફરિયાદી પાસે વધુ અઢી લાખ રૂપિયાના ચક્રવૃદ્ધિ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી, વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના પ્રદેશ પ્રમુખ દ્વારા પી.એસ.આઇ. હોવાની ખોટી ઓળખ આપી,માનસિક ત્રાસ ગુજારતા ફરિયાદીએ વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના પ્રદેશ પ્રમુખ, ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા આંબલાના આચાર્ય સહિત ચાર શખ્સો વિરૂદ્ધ વ્યાજ વટાવ સહિતની ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર પૈકી ત્રણ ભાઇઓની અટક કરી હાલ પૂછપરછ શરૂ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા રજનીભાઇ લાલજીભાઇ જાસોલીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને પૈસાની જરૂર પડતાં તેમને રઘુભાઇ સોંડાભાઇ રબારીના સંબંધી ભુપતભાઇ કરમટીયા, વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોકુળભાઇ કરમટીયા, ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા આંબલાના આચાર્ય વાઘજીભાઇ કરમટીયા પાસેથી રૂા. 45.70 લાખ વ્યાજે લીધા હતા. અને તેના બદલામાં ચારેય આરોપીઓએ ફરિયાદીની અધેવાડા પાસે આવેલી પાંચ વીઘા જમીનના દસ્તાવેજ કરાવી લીધો હતો. અને ફરિયાદી પાસેથી દસ લાખ રૂપિયા વસુલ કરી, જમીનનો રીટર્ન દસ્તાવેજ કરી આપવાનો વાયદો આપેલ હતો. અને બાદમાં આ જમીન ગેરકાયદેસર રીતે દોઢેક કરોડમાં વેચાણ કરી નાંખેલ હતું. અને ફરિયાદીએ સમયસર વ્યાજ ચુકવ્યું હોવા છતાં પણ માનસિક ત્રાસ આપતા હતા. અને ફરિયાદીને તેમની જમીન વેચાણ થયાનું જણાતા આરોપીઓ પાસે રૂપિયાની ફરિયાદીએ માંગણી કરી હતી. તમામ આરોપીઓએ ફરિયાદી પાસેથી સામા અઢી લાખ રૂપિયાનું ચક્રવૃદ્ધિ વ્યાજ આપવું પડશે તેમ કહી, પચ્ચીસ હજાર રૂપિયા પડાવી, વધુ વ્યાજની ઉઘરાણી કરી, જમીન પરત ન કરી, ત્રાસ ગુજારતા રજનીભાઇએ ભરતનગર પોલીસ મથકમાં ભુપત કરમટીયા, ગોકુળ કરમટીયા, વાઘજી કરમટીયા અને રઘુ સોંડાભાઇ રબારી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એક આરોપીએ પોલીસમાંથી અગાઉ રાજીનામું આપેલભરતનગર પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોકુળભાઇ કરમટીયા અગાઉ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હતા અને તેઓ એ.એસ.આઇ. તરીકે કામગીરી કરતા હતા પરંતુ આ આરોપીએ પોલીસમાંથી રાજીનામું આપેલ હતું. પરંતુ આરોપી ગોકુળ કરમટીયાએ ફરિયાદી રજનીભાઇને અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે પી.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા હોવાની ખોટી ઓળખ આપી, ત્રાસ ગુજાર્યો હતો.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 7:13 am

વિદેશી દારૂ ઝડપાયો:સિહોરના ડુંગરાઓમાંથી મંગાવેલ 86.57 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

ભાવનગર શહેર અને જિલ્લામાં બુટલેગરો બેફામ બની રહ્યા છે. બુટલેગરો દ્વારા તમામ ચેક પોસ્ટ પસાર કરાવીને શહેર અને જિલ્લામાં લાખો રૂપિયાનો વિદેશી દારૂ તેમજ બિયર ઘુસાડવામાં આવી રહ્યો છે. ત્યારે ભાવનગર પેરોલ ફર્લોને સિહોરના મોટા સુરકાના ડુંગરાની ગાળીમાં મસમોટા વિદેશી દારૂના જથ્થાનું કટીંગ તેમજ હેરાફેરી મોટા ગજાના બુટલેગરો દ્વારા કરાતું હોવાની બાતમી આધારે દરોડા પાડતા પેરોલ ફર્લો પોલીસની નજર સામે જ બુટલેગરો ફરાર થયા હતા અને પોલીસે રૂા. 86,57,390નો વિદેશ દારૂ ઝડપી લઇ, બુટલેગરોની શોધખોળ શરૂ કરી છે. ત્યારે એક જ સપ્તાહમાં પેરોલ ફર્લો દ્વારા ત્રીજી મોટી રેડ કરવામાં આવી હતી પરંતુ બે દરોડામાં તમામ બુટલેગરો ફરાર થવામાં સફળ રહ્યા હતા. ભાવનગર શહેર તેમજ જિલ્લામાં સ્થાનિક પોલીસના અધિકારીઓની રહેમરાહે જાહેરમાં વિદેશી દારૂ તેમજ બિયરનું વેચાણ થઇ રહ્યું છે. ત્યારે ભાવનગર પેરોલ ફર્લો દ્વારા એક સપ્તાહમાં ત્રણ મોટા દરોડા પાડી, બુટલેગરોના લાખો રૂપિયાનો વિદેશી દારૂ તેમજ બિયરનો જથ્થો ઝડપી લઇ, સ્થાનિક પોલીસની કામગીરી ઉપર તમાચો માર્યો છે. ભાવનગર જિલ્લાના સિહોર નજીક મોટા સુરકા ગામની આસપાસ ડુંગરાની ગાળીમાં વિરેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુ કુકડ, ભાવેશ જેઠા ચાવડા, ઘનશ્યામ ઉર્ફે જીડી ભરવાડ, મુન્નો ઉર્ફે ઢેકાળો કોળી તેમજ વરૂણ બારૈયા નામના બુટલેગરો દારૂનું કટીંગ કરી, હેરાફેરી કરતા હોવાની બાતમી મળતા પોલીસે દરોડા પાડ્યો હતો. જે સમયે એક બોલેરો પીકઅપ વાહન ચાલક ફરાર થવામાં સફળ રહ્યો હતો અને પોલીસે બાતમી સ્થળે હાજર જુદી જુદી કંપનીની વિદેશી દારૂની બોટલો નંગ 14,593, કિ.રૂા. 86,57,390નો મુદ્દામાલ ઝડપી, ફરાર થયેલા પાંચેય બુટલેગરોની શોધખોળ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 7:11 am

મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયું:અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ

માનવ સેવા અને જીવદયા સત્કાર્યો માટે સદાય તત્પર રહેતા ભાવનગર અર્હમ યુવા સેવા ગ્રુપના સેવકો દ્વારા પ્રેરણાદાતા અને અસીમ ઉપકારી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ ની ૩૫ મી દીક્ષા જયંતી અવસરે ભાવનગરના સાધારણ પરિવાર ના વ્યક્તિ ઓ માટે વિશેષ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ 8 મી ફેબ્રુઆરી રવિવારે સવારે 10 થી 1 અંજાનિયા વિંગ્સ સત્યનારાયણ રોડ A to z દુકાન ની સામે ભાવનગર રાખવામાં આવેલ છે. આ કેમ્પ માં ભાવનગર ના નિષ્ણાત ડોક્ટર્સ નિ: સ્વાર્થ ભાવે સેવા અર્પણ કરશે . તેઓ વિવિધ પ્રકારના આંખના, દાતના, ચામડીના, માનસિક રોગોના, હાડકાના, આદિ દર્દને તપાસી ચેક કરી યથા યોગ્ય માર્ગદર્શન આપશે. જરૂરી દવાઓ લખી આપશે. અને યથા યોગ્ય સહાય પણ આપશે. . આ ફ્રી મેડિકલ કેમ્પ નો લાભ લેનાર દર્દીઓએ ફરજિયાત આ નંબર - 9136442493 પર પોતાનું નામ એડ્રેસ અને દર્દી નું નામ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે .

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 7:10 am

વોકેથોનનુ આયોજન કરાયું:સ્પર્શ કેર, બિમ્સ હોસ્પિટલ દ્વારા વોકેથોનનુ આયોજન કરાયુ

વર્લ્ડ કેન્સર ડે ના અનુસંધાને કેન્સર જનજાગૃતિ માટે 1 ફેબ્રુઆરીના સ્પર્શ કેન્સર કેર અને ભાવનગરની બેસ્ટ બિમ્સ હોસ્પિટલ દ્વારા વોકેથોન નું આયોજન કરવામાં આવેલ. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ કેન્સર રોગને અટકાવવા જનજાગૃતિ ફેલાવાનો તેમજ કેન્સર રોગમાં પીડાતા દર્દી પ્રત્યે સહાનુભૂતિ દાખવી તેઓને કેવી રીતે બહાર લાવવા તે મુખ્ય હતો. કેન્સર સામે લડવા અને દર્દી દેવો ભવઃ ના મંત્ર સાથે સ્પર્શ કેન્સર કેર અને બિમ્સ હોસ્પિટલ ભાવનગર દ્વારા જનજાગૃતિ વોકેથોન નું આયોજન થયેલ. જેમાં વધુને વધુ યુવાનો તથા વિદ્યાર્થીઓને જોડવામાં આવ્યા હતા. જેમાં ભાવનગરની ખ્યાતનામ સ્કૂલો રેંજર ટીમના ૫૦૦થી વધારે સ્કાઉટ ગાઈડ જેઓ જિલ્લા મંત્રી અજયભાઇ ભટ્ટ ના માર્ગદર્શનમાં જોડાયા હતા અને કેન્સર માટેની જનજાગૃતિ ફેલાવવામાં સહયોગ આપ્યો હતો. આ ઉપરાંત ભાવનગરની બેસ્ટ બિમ્સ હોસ્પિટલ ના મેડિકલ ડિરેક્ટર ડો. સ્નેહલ રવિસાહેબ તથા મોઢા અને ગાળાના કેન્સરના સર્જન ડો. સિદ્ધાર્થ વ્યાસ દ્વારા લોકોને માર્ગદર્શન અપાયુ હતું. સમગ્ર કાર્યક્રમ ડો. જ્યોતિકાબેન જોશીના માર્ગદર્શનમાં સ્પર્શ કેન્સર કેર દ્વારા અને બિમ્સ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 7:09 am

લ્યો બોલો!:ચાર્જ સંભાળ્યાનો મહિનો પૂરો થાય તે પહેલા જ શાસનાધિકારીએ બદલી માંગી

ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શાસનાધિકારી તરીકે ચાર્જ સંભાળ્યાને હજુ એક મહિનો પણ પૂરો ન થયો ત્યાં નવનિયુક્ત શાસનાધિકારીએ શિક્ષણનું જ્ઞાન છે પરંતુ વહીવટી જ્ઞાન નહિ હોવાનું કારણ ધરી બદલીની માગણી પણ કરી દીધી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની 69 શાળામાં 30,530 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેના મુખ્ય વહીવટી અધિકારી તરીકે શાસનાધિકારી સક્ષમ હોવા જરૂરી છે. ઓક્ટોબર-2022 થી ડિસેમ્બર 2025 સુધી શાસનાધિકારી તરીકે મુંજલ બડમલીયાએ ફરજ બજાવી હતી. સાથો સાથ ચેરમેન તરીકે નિકુંજ મહેતા ફરજ બજાવી રહ્યા છે. પરંતુ ગત 26મી ડિસેમ્બર 2025 ના રોજ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2 ના રાજ્યના 200 મુખ્ય શિક્ષકો અને અધિકારીની થયેલી બદલીમાં ભાવનગર શિક્ષણ સમિતિના શાસનાધિકારીની પણ બદલી થઈ હતી અને સીદસર પીએમશ્રી મોડલ સ્કૂલના મુખ્ય શિક્ષક સમીરભાઈ જાનીની ભાવનગર શિક્ષણ સમિતિમાં શાસનાધિકારી તરીકે નિમણૂક થઈ હતી. અને તેઓ 30મી ડિસેમ્બરે હાજર થયા હતા. પરંતુ બાળકોને ભણાવતા ભણાવતા સીધા જ સમગ્ર શહેરની શાળાઓનું સંચાલન અને વહીવટ કરવામાં શરૂઆતથી જ શાસનાધિકારી સમીર જાનીને મુશ્કેલી પડતી હતી. શરૂઆતમાં જ શિક્ષણ સમિતિ નું બજેટ આવતા સ્ટેન્ડિંગ કમિટીની ચર્ચામાં પણ પદાધિકારીઓના પ્રત્યુતર આપવામાં અઘરૂ થયું હતું. જેથી 27 મી જાન્યુઆરીથી રજા પર ચાલ્યા ગયા છે અને. શિક્ષણ વિભાગમાં પણ લેખિતમાં પત્ર લખી વહીવટી કાર્ય કુશળતા નહીં હોવાના કારણસર મુખ્ય શિક્ષક તરીકે અન્ય જવાબદારી સંભાળવા તૈયારી બતાવી બદલીની માગણી કરી છે. સાથોસાથ શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજ મહેતા દ્વારા પણ લેખિતમાં શાસનાધિકારીની જાહેર હિતમાં બદલી કરવા અને સક્ષમ અધિકારીની માગણી કરી છે. આમ શાસનાધિકારીને ચાર્જ સંભાળ્યા નો હજુ મહિનો પણ પૂરો થયો નથી ત્યાં બદલીની માગણી કરતા શિક્ષણ વર્તુળમાં પણ ચર્ચા જાગી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતીમાં આગામી બજેટ સાધારણ સભામાં મંજુરી માટે આવે તે પહેલા જ શાસનાધિકારીએ બદલીની માંગણી કરી મુખ્ય શિક્ષક તરીકે ફરજ સોંપવા જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 7:09 am

લોક માંગ:ખોડિયાર મંદિરના ટ્રાફીકને ધ્યાનમાં રાખી ડબલડેકરની સુવિધાની માંગણી

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી સિટીબસની સેવા બંધ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં સિટીબસ સેવા ફરી શરૂ થઈ રહી છે ત્યારે ભાવનગરથી ખોડિયાર મંદિર સુધી જવાના ટ્રાફિકને ધ્યાનમાં રાખી અગાઉની માફક ડબલ ડેકર બસ સેવા શરૂ કરવાની માંગણી થયેલ છે. ભાવનગર મહાનગરપાલિકાના ભાજપના શાસકો દ્વારા વારંવારની રજુઆત છતા છેલ્લા કેટલાક વર્ષોથી સિટીબસ સેવા બંધ કરી દેવામાં આવી છે. સિટીબસ સેવા ચાલુ રહે તે માટે કોન્ટ્રાકટર દ્વારા અન્ય શહેરોની માફક સરકારની કિલોમીટર દીઠ સબસીડીની માંગણી કરવામાં આવી હતી. પણ આ સબસીડીમાં અન્ય મહાનગરોની માફક કોર્પોરેશનને પણ ફાળો આપવાનો થતો હતો જે નહી અપાતા કોન્ટ્રાકટરે સિટી બસ સેવા બંધ કરી દીધી હતી. સમગ્ર દેશમાં ઈ-બસ સેવા માટે કેન્દ્ર સરકારે યોજના બનાવતા એ યોજનાના ભાગરૂપે ભાવનગરમાં પણ 40 જેટલી ઈ-બસ આવી ગઈ છે અને બીજી 60 જેટલી ઈ-બસ આવવાની બાકી છે. ખોડિયાર મંદિર જવા માટે શહેરના અને આજુબાજુના ગામોના લોકોનો પણ ખુબ ધસારો હોય છે. ભુતકાળમાં પણ શનિ-રવિમાં ખોડિયાર મંદિર રૂટ પર ડબલડેકર બસ દોડાવવામાં આવતી હતી અને તે ભરચક રહેતી હતી ત્યારે આ રૂટ પરની ઈ-બસ પણ ડબલડેકર મેળવવામાં આવે તો ખોડિયાર મંદિરના દર્શનાર્થીઓને સુવિધારૂપ બને તેમ છે. આ અંગે કોર્પોરેશનના તંત્રવાહકોનો સંપર્ક સાધતા જે 100 નવી ઈ-બસ આવવાની છે તેમાં ડબલ ડેકર બસ નથી અને ડબલડેકર બસ માટે ભાવનગર કોર્પોરેશન દ્વારા હાલ કોઈ માંગણી કરવામાં પણ આવી નથી તેમ જણાવાયું છે. ભરતનગર રૂટ પર પણ ડબલ ડેકર બસ જરૂરીખોડિયાર મંદિરનો રૂટ સિટી બહારનો હોવાથી આ રૂટ પર ડબલ ડેકર બસ દોડાવવામાં આવે તો ઉંચાઈની કોઈ તકલીફ પડે તેમ નથી. એ જ રીતે ભરતનગર રૂટ ઉપર પણ ટ્રાફિક વધારે રહેતો હોવાથી ભરતનગર રૂટને પણ ડબલ ડેકર બસ ફાળવવામાં આવે તો ઓછી બસ દોડાવવાની જરૂર પડે પરિણામે પર્યાવરણનો જ હેતુ છે તે પણ જળવાઈ રહે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 7:08 am

પાણી કાપ:ભરતનગર, તરસમિયા, કાળિયાબીડ ઘોઘારોડમાં બે દિવસ પાણી નહીં મળે

મહી પરીએજ (GWIL) હસ્તકના નાવડા હેડવર્કસ ખાતે આગામી તા.6 થી 8 ફેબ્રુઆરી સુધી મેન્ટેન્સની કામગીરી હાથ ધરાયેલ હોવાથી ભાવનગર શહેરને મળતો પાણી સપ્લાય અનિયમિત રહેવાનો હોવાના લીધે આગામી તા.6ને શુક્રવાર અને તા.7ને શનિવારનાં રોજ તરસમિયા ફિલ્ટર આધારીત વિસ્તારોમાં પાણી સપ્લાય બંધ રહેશે. અત્રે ઉલ્લેખનીએ છીએ કે, ભાવનગર શહેરના રહેણાકી વિસ્તાર પૈકી 40% થી વધુ વિસ્તારમાં મહીપરીએજનું પાણી વિતરણ કરવામાં આવે છે. જે ત્રણ દિવસ મળી શકશે નહીં. નાવડા હેડ વર્કસમાં રીપેરીંગ કરવા માટે ભાવનગર શહેરમાં પણ પાણી વિતરણ બંધ રાખવામાં આવશે. જેમાં તા.6ને શુક્રવારના રોજ સવારે 10 કલાક બાદનો પાણી સપ્લાય બંધ રહેનાર વિસ્તારોમાં વર્ધમાનનગર ESR આધારિત આસ્થા ઓમ શ્રીનાથજીનગર, સીતારામ ચોક, સિંગલીયા (ભરતનગર), તખ્તેશ્વર રેસીડેન્સી, વર્ધમાનનગર, દેવરાજનગર, તળાજા રોડ, શિવનગર, શેત્રુંજી રેસિડેન્સી, તરસમીયા ગામ, અધેવાડા સોસાયટી વિસ્તાર તેમજ દિલબહાર ESR આધારિત કાળીયાબીડ-ડી, કેસરીયા હનુમાન અને તેની આજુ-બાજુના વિસ્તારો, સાગવાડી અને તેની આજુ-બાજુના વિસ્તાર, રામનગર, ખોડીયાર હોલ અને તેની આજુ-બાજુના વિસ્તાર, શિવપાર્ક, KPES સ્કુલ પાછળના વિસ્તાર, અવધનગર, ગોકુળધામ, હરિઓમનગર, નીલમણીનગર, પટેલ પાર્ક, કબીર આશ્રમ, શાંતિનગર તદુપરાંત બાલયોગીનગર ESR આધારિત સુભાષનગર રાજપૂત વાડા, ગાયત્રીનગર આવાસ યોજના ઘોઘારોડ, અકવાડા અખિલેશ સોસાયટી વગેરે વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે. તા.7ને શનીવારના રોજ સવારે 4 કલાકથી સવારે 10 કલાક સુધીનો પાણી સપ્લાય બંધ રહેનાર વિસ્તારોમાં વર્ધમાનનગર ESR આધારિત ભરતનગર જુના બે માળિયા, સિંગલીયા (ભરતનગર), શિવ પાર્વતી, હરિઓમનગર, શ્રીનાથજીનગર, કૌશલ્યા પાર્ક, કૈલાશનગર, અધેવાડા ગામતળ વગેરે વિસ્તાર તેમજ દિલબહાર ESR આધારિત હિલડ્રાઈવ, સિંધુનગર, આઝાદનગર, ઇસ્કોન મેગાસીટી, માધવબાગ વગેરે વિસ્તારમાં તેમજ બાલયોગીનગર ESR આધારિત ગાયત્રીનગર, ખારસી વિસ્તાર, બરસાના, સ્વપ્નશિલ્પ, સિદ્ધિ વિનાયક સોસાયટી વગેરે વિસ્તારમાં પાણી સપ્લાય અપાશે નહીં. તરસમીયા ફિલ્ટર આધારિત વિસ્તારોમાં પાણી વિતરણ ડહોળાયું

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 7:07 am

રોગચાળો વકર્યો:કૃષ્ણનગરમાં નળ-ગટરનું પાણી ભેગુ થઈ જતા ઝાડા - ઉલ્ટીનો વ્યાપક રોગચાળો

કૃષ્ણનગર વિસ્તારમાં નળ સાથે ગટરનું પાણી ભળી જતા ઝાડા - ઉલ્ટીનો વ્યાપક રોગચાળો શરૂ થયો છે. આ વીસ્તારમાં ઘણા લાંબા સમયથી પાણીમાં દુર્ગંધની ફરિયાદો હોવા છતા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવાયા ન હતા. કૃષ્ણનગર વિસ્તારમાં બહુચરમાતાના મંદિરથી દાણીબાઈ કન્યા છાત્રાલય, જૈન દેરાસરની પાછળનો વીસ્તાર, મહિલા કોલેજ સર્કલ વીસ્તારમાં નળ - ગટરનું પાણી ભેગુ થઈ ગયુ હોવાથી ઝાડા, ઉલ્ટીનો વ્યાપક વાયરો શરૂ થયો છે. લોકોને ફરજીયાત પીવા માટે બહારથી પાણી મંગાવવુ પડે છે. આ વીસ્તારના રહીસોના જણાવ્યા મુજબ આ અંગે વારંવાર લેખીત - મૌખીક રજુઆતો છતા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવાતા નથી. પરિણામો ઈંદોર જેવી ઘટના બનવાની પણ ભીતી છે. કોર્પોરેશનના તંત્રવાહકો દ્વારા રસ્તાના કામોને કારણે પાઈપલાઈન તુટતા આવુ થવાની શક્યતા દર્શાવાઈ રહી છે પણ યુદ્ધના ધોરણે જો આ ક્ષતિ દૂર કરવામાં ન આવે તો ભાવનગરમાં મોટી દુર્ઘટના થયાની પણ સંભાવના છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ઈંદોર અને અમદાવાદમાં તાજેતરમાં નળ-ગટરના દુષિત પાણીને કારણે અનેક લોકોના મોત નિપજયા હતા અને અનેક લોકોને હોસ્પિટલમાં પણ દાખલ કરવા પડયા હતા. ત્યારે ભાવનગરની આ ઘટના ગંભીર છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 7:06 am

ભરતનગરની આંગણવાડી જર્જરિત બની:સ્માર્ટ આંગણવાડી ! પાંચ વર્ષમાં જ મકાન જર્જરીત થતા ભ્રષ્ટાચારની બૂ

કોર્પોરેશન દ્વારા સ્માર્ટ આંગણવાડી બનાવી રહ્યા છે પરંતુ પાંચ વર્ષ પહેલા ખાતમુહૂર્ત થયેલ ભરતનગરની આંગણવાડી જર્જરિત બની ગઈ છે. તે જ દર્શાવે છે કે સ્માર્ટ આંગણવાડી નું બાંધકામ સ્માર્ટ નથી. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 87 સ્માર્ટ આંગણવાડીનું નવીનિકરણ કરવામાં આવ્યું છે. અને આગામી બજેટમાં વધુ 50 આંગણવાડીને સ્માર્ટ બનાવવા માટે જોગવાઈ કરવામાં આવશે. પરંતુ આંગણવાડીનું બાંધકામ સ્માર્ટ હોતું નથી તેનો દ્રશ્ય દાખલો ભરતનગરની આંગણવાડી છે. ભરતનગરના રક્ષેશ્વર મહાદેવ મંદિર પાસે કોર્પોરેશનની શાળાની બાજુમાં આંગણવાડી બનાવવામાં આવી છે જેનું ખાતમુહૂર્ત 2020 માં થયું હતું. ત્યારબાદ લોકાર્પણ પછી આંગણવાડીના કાર્યરત કરવામાં આવી હતી. પરંતુ આંગણવાડીનું બાંધકામ નબળી ગુણવત્તાનું હોય તેમ જર્જરિત થઈ ગયું છે. હાલમાં જર્જરીત બનેલી આંગણવાડીનું રીપેરીંગ અને રીનોવેશનનું કામ શરૂ છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 7:04 am

મંદીમાં આશા ઉજળી:શિપ રિસાયકલીંગમાં અલંગ ફરી વર્લ્ડ લીડર બન્યું

વધુ એક વખત દક્ષિણ એશિયાના દેશોએ વૈશ્વિક શિપ રીસાયકલિંગ ક્ષેત્રે પોતાની સર્વોપરીતા હાંસલ કરી છે. વર્ષ 2025 દરમિયાન ભંગાણાર્થે મોકલવામાં આવેલા કુલ જહાજોના 85 ટકા હિસ્સો દક્ષિણા એશિયાના દેશોના ફાળે આવ્યો છે. જે પૈકી ભારતના અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડનો સિંહ ફાળો છે. સમગ્ર વિશ્વના 32 ટકા જહાજો ફક્ત અલંગ શિપ રીસાયકલિંગના ફાળે આવ્યા હતા. NGO શિપબ્રેકિંગ પ્લેટફોર્મ અનુસાર, ગયા વર્ષે બાંગ્લાદેશ, ભારત અને પાકિસ્તાનના દરિયા કિનારા પર કુલ 214 મોટા ટેન્કર, બલ્ક કેરિયર્સ, ઓફશોર પ્લેટફોર્મ અને કાર્ગો અને પેસેન્જર જહાજોને ભાંગવામાં આવ્યા હતા, જે વિશ્વભરમાં સ્ક્રેપ કરાયેલા વૈશ્વિક કુલ ટનેજના 85% થી વધુ હિસ્સો ધરાવે છે. બાંગ્લાદેશ અને ભારત શિપબ્રેકિંગ માટે શિપિંગ ઉદ્યોગના પસંદગીના સ્થળો છે. ગયા વર્ષે વૈશ્વિક સ્તરે 321 જહાજો તોડી પાડવામાં આવ્યા હતા, જેમાંથી 214 દક્ષિણ એશિયામાં સમાપ્ત થયા હતા. તેમાં સૌથી વધુ અલંગમાં 111 શિપ, બાંગ્લાદેશમાં 88 શિપ, તૂર્કિમાં 49 શિપ, પાકિસ્તાનમાં 15 શિપ, યુરોપિયન યુનિયનમાં 14 શિપ અને અન્ય દેશોમાં 44 શિપ ભાંગવામાં આવ્યા હતા. જૂન 2025માં ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશનના હોંગકોંગ કન્વેન્શન (HKC) પર શિપ રિસાયક્લિંગ અમલમાં આવ્યાના મહિનાઓ પછી આ તારણો આવ્યા છે. બાંગ્લાદેશે કન્વેન્શન હેઠળ 17 શિપબ્રેકિંગ યાર્ડ્સને મંજૂરી આપી છે, પરંતુ પ્લેટફોર્મે નોંધ્યું છે કે આ સુવિધાઓ પર પણ ગંભીર અકસ્માતો ચાલુ રહે છે, જેમાં ઘટનાની જાણ ઘણીવાર અપારદર્શક અથવા સંપૂર્ણપણે ગેરહાજર હોય છે. વર્ષ 2021માં સમગ્ર વિશ્વમાં કુલ 763 શિપ ભંગાણાર્થે મોકલવામાં આવ્યા હતા અને 2025માં તેની સંખ્યા તદ્દન ઘટી અને 321 શિપ ઉપર પહોંચી ગઇ છે. આમ, વૈશ્વિક ક્ષેત્રે જ જહાજોના જથ્થામાં ઓટ આવી છે. વર્ષ 2022માં 443 શિપ પૈકી દ.એશિયામાં 292, 2023માં 446 પૈકી 325, 2024માં 409 શિપ પૈકી દ.એશિયામાં 214 શિપ ભંગાણાર્થે પહોંચ્યા હતા. ભાસ્કર એક્સપર્ટઅલંગમાં માંગ છે, વૈશ્વિક પુરવઠો ક્ષુલ્લક ઉપલબ્ધશિપ રીસાયકલિંગ ક્ષેત્રે જહાજોના પુરવઠામાં વૈશ્વિક સ્તરે ભયંકર ઓટ આવી છે, ભારતના અલંગમાં સારી માંગ છે પરંતુ નફાકારક જહાજોનો પુરવઠો ક્ષુલ્લક છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નિયમો, કરવેરા સહિતની બાબતોએ અલંગને પાછલા વર્ષોમાં ખુબ ટેકો આપ્યો છે, તેની સકારાત્મક અસર પણ છે. ઉપરાંત તમામ આંતરરાષ્ટ્રીય નિયમો, ધારાધોરણોનું પાલન અલંગમાં થાય છે તેથી નામાંકિત શિપિંગ લાઇનો પોતાના શિપ અલંગમાં મોકલવાનું વધુ ઇચ્છે છે. - રમેશભાઈ મેંદપરા, ઉપ-પ્રમુખ, શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસો.(ઇન્ડીયા)

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 7:03 am

સૌરાષ્ટ્ર સમાચાર એક્સક્લુઝીવ:શહેરમાં હવાના પ્રદૂષણનો AQI 208, અત્યાર સુધીનો સર્વોચ્ચ

ભાવનગર શહેરની વચ્ચે જીવંત ફેફસા સમાન વિક્ટોરીયા પાર્કનું જંગલ આવેલું હોવા છતા વાયુ પ્રદૂષણ સર્વોચ્ચ સુચકાંકે પહોંચી ગયો હોવાની બાબત ચિંતાજનક છે અને તેના કારણે શહેર-જીલ્લામાં શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેક્શનના કેસોની સંખ્યા રોકેટ ગતિએ વધી રહી છે. બીજી તરફ પ્રદૂષણ કાબુમાં રાખવાની જેની જવાબદારી છે તે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી)ની ભાવનગર કચેરી તળે બે જીલ્લાના 2000થી વધુ ઔદ્યોગિક એકમો પર નજર રાખવાની-કામગીરી કરવાની જવાબદારી છે તેની પાસે માત્ર 10નો જ સ્ટાફ મોજુદ છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ભાવનગરના પ્રાદેશિક અધિકારી એન.એમ.કાવરે જણાવ્યુ હતુ કે, ભાવનગરમાં રોડ-રસ્તા, ડ્રેનેજ કામ વ્યાપકપણે ચાલે છે, અને કામ લાંબા ચાલે છે, તેથી ડ્રેનેજ માટે ખોદકામ થાય, પાઇપલાઇનના કામ થાય, ત્યાર બાદ નવા રોડ બનાવવામાં આવે છે તેથી આ પ્રક્રિયામાં ધૂળ-માટી ભયંકર રીતે ઉડે છે, અને તેના કારણે વાયુ પ્રદૂષણ વધી રહ્યું હોવાનું તારણ છે, પરંતુ આવા પ્રકારના કામને ટેમ્પરરી ફેક્ટર ગણી શકાય. શહેર-જીલ્લામાં વાયરલ ઇન્ફેક્શન, શરદી, ઉધરસ, તાવના કેસનો ઇન્ડેક્સ વધી રહ્યો છે. ભાવનગર જીલ્લા પંચાયતના આરોગ્ય કેન્દ્ર તળે એક સપ્તાહમાં વાયરલ ઇન્ફેકશનના 3554 અને શરદી-ઉધરસના 1626 કેસ નોંધાયા છે. સમગ્ર રાજ્યમાં ભાવનગર શહેરમાં નોંધપાત્ર રીતે છેલ્લા 10 વર્ષમાં વૃક્ષા રોપણ અને વૃક્ષ ઉછેરના કામ થયા છે, શહેર મધ્યે વિક્ટોરીયા પાર્કનું જંગલ પણ છે, છતા પ્રદૂષણની માત્રા વધી રહી છે તે ખરેખર ચિંતાનજક બાબત છે. ભેજનું પ્રમાણ વધુ હોય ત્યારે રજકણોની સમસ્યા રહેસામાન્ય રીતે શિયાળાની ઋતુમાં હવામાનમાં ભેજનું પ્રમાણ વધુ રહે છે તેના કારણે રજકણો હવામાં ભળતા વાર લાગે છે અને નીચલા સ્તરે ધૂળ-માટી ઉડતી અનુભવાય છે. રાજ્યના અન્ય શહેરોમાં પણ આવી જ સમસ્યા હોય તેવું એક્યુઆઇના આંકડા પરથી લાગે છે. વાયુ પ્રદૂષણ માટે ઉદ્યોગો, રોડ-રસ્તા, કન્સ્ટ્રકશનના કામોમાં થતી બેદરકારી પણ કારણભૂત ગણી શકાય. - ડો.એમ.એચ. ગાયતોંડે, નિવૃત્ત પર્યાવરણ અધિકારી દિવાળીમાં શહેરનો AQI 154થી207 હતોદિવાળી દરમિયાન ભાવનગર શહેરમાં એક્યુઆઇ 154થી 207ની વચ્ચે રહ્યુ હતુ, શિયાળાની ઋતુ આગળ ધપતા વાતાવરણ શુધ્ધ થવાને બદલે ભાવનગરની સ્થિતિ બગડતી જાય છે. અને AQIનુ સ્તર છેલ્લા 1 સપ્તાહમાં 208 સુધી પહોંચી ગયુ છે. ઘરથી બહાર નીકળતા સમયે માસ્ક પહેરવું જેઈએતાજેતરના શહેરમાં મિશ્રઋતું જેવા ખરાબ હવામાનથી સૂકી ઉધરસ, શરદી અને વાયરલ ઇન્ફેક્શનના કેસો વધ્યા છે. ખાસ કરીને દમ અને હૃદયરોગને સંબંધિત દર્દીઓને શ્વાસને લગતી સમસ્યા ઉદ્દભવતી હોય છે ત્યારે ઘરથી બહાર નીકળવા સમયે માસ્ક પહેરવું જોઈએ. - ડો.ગોપાલસિંહ પરમાર, પૂર્વ સેક્રેટરી, ચેસ્ટ ફિઝિશિયન એસોસિએશન, ભાવનગર

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 7:02 am

કોરિયન લવ ગેમ : ભારતીય ટીનએજર્સ માટે વધુ એક જીવલેણ રમત

- કે-પોપ અને કે-ડ્રામાનો ક્રેઝ ધરાવતી જેનઝી અને ટીનએજર્સ પેઢીને ફરી આત્મઘાતી બનાવવાની મેલી મુરાદનું આશંકા - આ કોરિયન સ્ટાઈલની એક ઓનલાઈન લવ ટાસ્ક આધારિત ગેમ છે. આ ગેમમાં યૂઝર એક વર્ચ્યુઅલ લવર અથવા તો પાર્ટનર સાથે જોડાય છે. તેઓ કોરિયન સ્ટાઈલમાં વાત કરે છે, રોમેન્ટિક મેસેજ મોકલે છે અને દરરોજનું એક ટાસ્ક આપે છે. ગેમ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ ટાસ્ક મુશ્કેલ થતું જાય છે. શરૂઆતમાં નાના-મોટા કામ સોંપવામાં આવે છે : આ ગેમ્સ બાળકો અને ટીનએજર્સ વધારે રમતા હોવાથી રોમેન્ટિક વાતોમાં, લાગણીશિલ વાતોમાં ફસાઈ જાય છે.

ગુજરાત સમાચાર 5 Feb 2026 7:00 am

ડુપ્લિકેટ EWS સર્ટિફિકેટ કૌભાંડ સામે આવ્યું:મામલતદારના સહી- સિક્કા કરી સર્ટિ. બનાવનાર પકડાયો

જનસેવા કેન્દ્રમાં EWS પ્રમાણપત્ર માટે આપેલા ડોક્યુમેન્ટસમાં ક્વેરી નીકળતા એજન્ટે કોમ્યુટર પર એડિટ કરીને મામલતદારના સહિ સિક્કા બનાવી ડુપ્લિકેટ સર્ટિ બનાવી આપ્યાનું કૌભાંડ ખુલ્યું છે. મોટા વરાછા રહેતા હુસૈન અહમદ બાંગીએ EWSનું પ્રમાણપત્ર લેવાનું હોવાથી એજન્ટ નિકુંજ વિનુ ભુવા (રહે, દ્વારકાધીશ સોસાયટી કોસાડ)નો સંપર્ક કર્યો હતો. તા.14-11-2025ના રોજ એજન્ટ મારફતે તેમણે ઓનલાઇન અરજી કરી હતી. બાદમાં ડોક્યુમેન્ટ જન સુવિધા કેન્દ્ર પર જઇને જમા કરાવ્યા હતા. જો કે, તેમાં હુસૈનના પિતાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને જન્મ સ્થળ રંગુન હતું તેમજ ગુજરાતમાં કાયમી પુરાવા ન હોવાથી કચેરીએ તેમને પ્રમાણપત્ર ઇશ્યુ કર્યું ન હતું. આ અંગે નિકુંજે તપાસ કરી તો પ્રમાણપત્ર ઇશ્યુ થઇ શકે તેવું જાણવા મળ્યું હતું. જેથી તેણે કોમ્યુટર પર પ્રમાણપત્ર એડિટ કરીને ડુપ્લિકેટ બનાવી આપ્યું હતું. નાયબ મામલતદાર હિરેન પટેલે ફરિયાદ નોંધાવતા ઉત્રાણ પોલીસે નિકુંજની ધરપકડ કરી છે. હુસૈને આ સર્ટિ ટેટમાં પણ રજૂ કર્યું હતું. ઓરિજિનલ લેવા આવતાં ભાંડો ફુટ્યોનિકુંજે ડુપ્લિકેટ પ્રમાણપત્ર બનાવીને હુસૈનને આપ્યું હતું. જેનો ફોટો તેણે ફોનમાં લઇ લીધો હતો. કોપીની જરૂર પડતા હુસૈન કેન્દ્ર પર જઇને ઓરિજિનલ માંગી હતી. જ્યારે ઓપરેટરે ચેક કરતાં આવું કોઇ સર્ટિ એપાયું ન હોવાનું ખુલ્યું હતું. આ અંગે મામલતદાર કે.જે.નાયકે પુછતાછ કરતાં નિકુંજે ગુનો કબુલી લીધો હતો.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 6:41 am

મહિલાઓ માટે ખાસ સેમિનાર યોજાયો:વર્કિંગ વુમન પોષણની જરૂરિયાતને અવગણે છે, તેમનાં ભોજનમાં પ્રોટીન, ગૂડ ફેટ જરૂરી

VNSGUના વુમન ડેવલપમેન્ટ સેલ અને જેન્ડર રિસોર્સ સેન્ટર, ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે સેતુ કાર્યક્રમ અંતર્ગત ‘જાતિગત સમાનતા, સ્વાસ્થ, કાયદાકીય જન જાગૃતિ અને POSH ACT 2013” વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા શિક્ષણ વિભાગના પ્રોફેસર ડૉ. કિર્તીબેન ઠાકર દ્વારા સમગ્ર કાર્યક્રમની રૂપરેખા અને કાર્યક્રમમાં સમજણ આપવામાં આવી હતી. શરીરનું સ્વાસ્થ્ય જાળવી રાખવા મહત્વની ટીપ્સ સમજદારી અને સજાગતાથી ખાવું એ એક વિશેષ કળા છેપ્રથમ સત્રના વક્તા ડો.હીના મકવાણાએ સ્ત્રી સંરક્ષણ અંતર્ગત કાયદાશાસ્ત્રની વિવિધ કલમો, POSH ACT 2013 અંગે માર્ગદર્શન આપ્યું હતું. બીજા સત્રમાં ડો.મહારુખ કરંજીયા હાજર રહ્યા હતા. જ્યારે ત્રીજા વક્તા લીફ એન્ડ લીનના ડૉ. શશી સૈનીએ મલ્ટિટાસ્કિંગ માઇન્ડ્સ અને અવગણાયેલા ભોજન: પોષણ માટેની એક ચેતવણી વિષય પર ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે આજના વ્યસ્ત જીવનમાં કાર્યરત મહિલાઓ પોતાના પોષણની જરૂરિયાતોને અવગણે છે. ભોજનમાં પ્રોટીન અને ગુડ ફેટને સામેલ કરવું જરૂરી છે. કારણ કે સમજદારી અને સજાગતાથી ખાવું એ એક કળા છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 6:36 am

SGCCI દ્વારા મ્યુનિ.કમિશનરનું સ્વાગત કરાઈ:સુરત હવે સ્માર્ટ સિટી 2.0 માટે પણ તૈયાર છે

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરતના નવ નિયુકત મ્યુનિસિપલ કમિશનર IAS એમ. નાગરાજન માટે સ્વાગત સમારોહ યોજાયો હતો. જેમાં મ્યુનિસિપલ કમિશનરે ઉદ્યોગ સાહસિકો, વ્યવસાયિકો અને નાગરિકો સાથે સંવાદ સાધ્યો હતો. એમ. નાગરાજને જણાવ્યું કે, શહેરના સર્વાંગી વિકાસ માટે કોલાબોરેટિવ એપ્રોચ ખૂબ જ જરૂરી છે. સુરતમાં ડેપ્યુટી કમિશનર તરીકે અગાઉ ફરજ બજાવી ચૂકયો છું, અહીંથી નીકળ્યો ત્યારે શહેરનું બજેટ રૂ. 4,000 કરોડનું હતું, આજે તે રૂ. 11,000 કરોડ સુધી પહોંચી ગયું છે. આ બદલાવ દર્શાવે છે કે સુરત હવે સ્માર્ટ સિટી 2.0 માટે તૈયાર છે. ગુજરાત સરકાર પણ સુરત ઇકોનોમિક રિજનનું આયોજન કરી રહી છે. સુરતમાં રિજીયોનલ ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે જરૂરી ક્ષમતા છે. સુરતે અત્યાર સુધી જે સિદ્ધિઓ મેળવી છે, તેને ટકાવી રાખવી અને સાથે જ શહેરને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ લઈ જવાનો પ્રયાસ કરવાનો છે. હું પણ સુરતનો આશિક છુંસુરતના ઘણા આશિક છે, હું પણ એમાંથી એક છું. સુરતમાં જે એક વખત આવી જાય એ સુરતી થઇ જાય છે. અધિકારીઓને પણ અહીં કામ કરવાનું ગમે છે. મને શહેરને નવી દિશામાં આગળ લઈ જવાની જવાબદારી સોંપાઇ છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 6:35 am

સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન:ઇન્ટરનેશનલ સ્પેસ ડ્રોન ચેલેન્જ સ્પર્ધામાં દેશ-વિદેશની 22 ટીમમાંથી SVNIT ત્રીજા ક્રમે રહી

મણિપાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ઉડૂપી, કર્ણાટકમાં સ્પેસ રોબોટિક્સ સોસાયટી દ્વારા યોજાયેલી ઇન્ટરનેશનલ સ્પેસ ડ્રોન ચેલેન્જ 2026માં SVNITના વિદ્યાર્થીઓએ ત્રીજો ક્રમ મેળવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. SVNITના દ્રષ્ટી ક્લબના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા ‘માર્સ ડ્રોન’એ ત્રીજો ક્રમ મેળવ્યો છે. આ ડ્રોન માર્સ ગ્રહના પર્યાવરણને ધ્યાને લઇને બનાવવામાં આવ્યું છે. જેમાં AIનો ઉપયોગ કરાયો છે. કોલેજના 6 બ્રાંચના 25 વિદ્યાર્થીઓએ સાથે મળીને આ ડ્રોન તૈયાર કર્યું છે. કોમ્પિટીશનમાં ડ્રોને બે મિશન સફળતાપૂર્વક પાસ કર્યાઆ સ્પર્ધામાં ડ્રોનને બે મીશનમાંથી પસાર કરાવવામાં આવે છે. પ્રથમ મિશન દરમિયાન ડ્રોન દ્વારા ત્રણ સ્તરની હાઇટ પરથી પ્રેશર, ટેમ્પરેચર અને હ્યુમિડિટીના ડેટા લઇ પર્યાવરણની સ્ટડી કરવાની હોય છે. આ ઉપરાંત GPSની મદદથી મેપ બનાવવા, ફોટો લેવા અને યોગ્ય જગ્યા પર સેન્સર મૂકવાનો ટાસ્ક અપાય છે. સાથે બીજા મિશન દરમિયાન જુદી જુદી જગ્યાઓ પર વસ્તુઓ મૂકવા અને સોલર પ્લેટ સાફ કરવાની હોય છે. દ્રષ્ટી ક્લબની ટીમ દ્વારા નિર્મિત ડ્રોને આ તમામ સ્ટેજ સફળતાપૂર્વક પાસ કર્યા હતા. કોમ્પિટીશનમાં ભારતના વિવિધ રાજ્યો અને વિદેશના વિદ્યાર્થીઓની 22 ટીમો દ્વારા નિર્મિત ડ્રોન રજૂ કરવામાં આવ્યા હતા. જેમાંથી વિવિધ રાઉન્ડ બાદ SVNITની ટીમ ફાઇનલ રાઉન્ડમાં પહોંચી ત્રીજા ક્રમે રહી હતી. આ ડ્રોનમાં GPS, તાપમાન, હ્યુમિડિટીને મેઝર કરવા સેન્સર લગાડ્યા છે. સાથે જ તેમાં AIની મદદથી વિવિધ વસ્તુઓની ઓળખવાની ક્ષમતા પણ છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 6:34 am

મશીનને આપણે એ શીખવવાનું કે શીખવાનું કઇ રીતે?:કદાચ એવું બને કે દૂરના ભવિષ્યમાં રોબોટ તમારા બાળકને શીખવાડે અને પછી તમારા બધા કામ પણ કરે

​છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં રહેતા તમામ ગુજરાતીઓને સતાવતી કોમન સમસ્યા કઇ છે? ઇ-મેમો. ઝીબ્રા ક્રોસિંગની ઉપર વાહન રહ્યું કે હેલ્મેટ ન પહેર્યું હોય એટલે ઘરે ઇ-મેમો પહોંચી જાય. દર ચાર રસ્તે સીસીટીવી કેમેરા તો રાખ્યા છે. જે વીડિયો શૂટ કરવાનું કામ કરે છે પરંતુ એ વીડિયો ફૂટેજમાંથી જે વાહનચાલક કાયદો તોડે એનો ફોટો પાડવાનું કામ કોણ કરે? અત્યારે તો ગુજરાતમાં માણસો કરે છે પરંતુ બહુ ટૂંક સમયમાં એ કામ ગુજરાતમાં પણ મશીન કરશે. હવે સવાલ થાય કે મશીનને કઇ રીતે ખબર પડે કે આ વાહનચાલકે કાયદો તોડ્યો? મશીનને એ જ્ઞાન લાધે એ પ્રક્રિયાને મશીન લર્નિંગ કહેવાય. જેમાં મશીન ખુદ શીખ્યું કે ક્યારે, શું, કેવું અને કેટલું કામ કરવું. બીજું ઉદાહરણ. આપણે ઘણા સમયથી સાંભળીએ છીએ કે ઓટો-પાયલટવાળી કાર આવશે. એવી કાર જેમાં ડ્રાઇવર નહીં હોય. હવે કાર ચલાવતા સોફ્ટવેરને તમે અમુક કમાન્ડ આપી શકો કે રેડ સિગ્નલ પાસે બ્રેક મારવી. એક જ લેનમાં ગાડી ચલાવવી, કોઇ રસ્તો ક્રોસ કરતું હોય તો બ્રેક મારવી પણ ગાડી ચલાવતી વખતે ભારત જેવા દેશમાં તો અનેક અડચણો આવે જેમ કે હાઇવે ઉપર રસ્તાની વચ્ચોવચ્ચ કોઇ પ્રાણીનો મૃતદેહ પડ્યો હોય કે પછી વધુ પડતી ઊંચાઇ ધરાવતા બમ્પને પાર કરવા માટે એકદમ ત્રાંસી કાર એની ઉપરથી ચલાવવી પડે વગેરે તો આવી નાની નાની વાતોના સોફ્ટવેરને કમાન્ડ આપી શકાય નહીં તો હવે શું કરવાનું? જવાબ છે મશીન લર્નિંગ. કારનું સોફ્ટવેર તેને મળતા અનુભવ ઉપરથી ખુદ શીખે અને યાદ રાખે. મશીન લર્નિંગની નેગેટિવ પરાકાષ્ઠાઆપણે ઘણી બધી હોલિવૂડની મુવીઝમાં જોયું છે કે મનુષ્યએ બનાવેલા રોબોટ્સ એટલે કે મશીન્સ મનુષ્ય કરતાં વધારે શક્તિશાળી બની જાય છે અને અંતે માણસનો અને આ દુનિયાનો અંતઃ લાવે છે. આમ માણસને કામમાં મદદ કરવા બનાવેલા મશીન્સ માણસનો જ અંત આણે છે! મશીન લર્નિંગની આ નેગેટિવ પરાકાષ્ઠા થઇ. જો મશીનો માણસ પાસેથી સ્વાર્થખોરી અને હિંસા શીખી ગયા તો? ​શું આવું થવું હકીકતમાં શક્ય છે? જો રોબોટ્સ એટલે કે મશીનનો કન્ટ્રોલ મનુષ્ય પાસે હોય તો એ રોબોટ્સ એટલા શક્તિશાળી કેવી રીતે બની જાય કે મનુષ્યનો જ અંત આણે? આમ તો આ મૂવીની વાત થઇ અને ફિલ્મસ અને રિયલ જિંદગીની વાસ્તવિકતા વચ્ચે ફરક હોય છે પણ હવે ટેક્નોલોજીની એક એવી શાખા નીકળી છે જેમાં મશીન પોતે જ જાતે આજુબાજુના વાતાવરણમાંથી ડેટા ભેગો કરીને અપડેટ થતો જાય અને એ શાખાને મશીન લર્નિંગ કહે છે! મશીન લર્નિંગની દુનિયામાં ડોકિયુંજેને અત્યારે આ ટેક્નોલોજી આવડે છે એને ઘી કેળાં છે કારણ કે કારકિર્દીની રીતે પણ અત્યારે આ ટેક્નોલોજી ખૂબ ડિમાન્ડમાં છે. એક નિર્જીવ લાગતું મશીન જાતે કઇ રીતે અપડેટ થતું રહે અને શીખતું રહે એ વાત અને કલ્પના જ ખૂબ રોમાંચક નથી? તો ચાલો આ રોમાંચક લગતી મશીન લર્નિંગની દુનિયામાં એક ડોકિયું કરીએ. ​મશીન લર્નિંગ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની એક એપ્લિકેશન છે જે સિસ્ટમને કોઇ રીતે પ્રોગ્રામ કર્યા વગર અનુભવમાં આપમેળે શીખવાની અને સુધારવાની તક પૂરી પાડે છે. સાદી ભાષામાં મશીન લર્નિંગ કોમ્પ્યુટર પ્રોગ્રામ્સના વિકાસ પર ફોકસ કરે છે જે ડેટાને એક્સેસ કરી શકે છે અને તેનો ઉપયોગ પોતાના માટે કરી શકે છે. ​એનું લોકપ્રિય ઉદાહરણ છે એપલની એલેક્સા કે ગૂગલની સિરી..! તમને એક સવારે ઉઠીને બોલિવૂડના ગીતો સાંભળવાનું મન થાય છે અને તમે સિરીને કહો છો સિરી બોલિવૂડનું કોઇ ગીત સંભળાવ અને સિરી કોઇ એક ગીત રેન્ડમલી શરુ કરે છે જે તમને નથી ગમતું અને તમે કહો છો કે આ નહીં પણ અરિજિતસિંહનું આ ગીત સંભળાવ. સિરી એ સંભળાવે છે.. તમારી વાત સાંભળીને એને પ્રોસેસ કરવાની જે પ્રક્રિયા છે એને સાદી ભાષામાં મશીન લર્નિંગ કહી શકાય. ચાલો વધારે ડિટેઈલમાં આ વાત સમજીએ આ આખી પ્રક્રિયા ડેટાને સમજવા અને શીખવાની પ્રક્રિયાથી શરુ થાય છે જેમ કે ઉદાહરણ, સૂચના અને અથવા અનુભવથી ડેટામાં એક પેટર્ન શોધવી અને એનો ઉપયોગ ભવિષ્યમાં સારા નિર્ણય લેવા કરવો. આગળ ઉપર જોયું એમ બોલિવૂડ સંગીતના ખજાનામાંથી અરિજિતસિંહના ગીતોને પ્રોસેસ કરી થોડા તમને ગમતા ગીતોના ડેટામાંથી ગીતો વગાડવા...!! છે ને અદ્ભૂત વાત..!! ​આ સિરી કે એલેકસા તો મશીન લર્નિંગના વ્યાપક ઉપયોગના સમુદ્રમાંથી નાના ઉદાહરણ છે. અત્યારે મશીન લર્નિંગ ક્યાં નથી વપરાતું અને ભવિષ્યમાં ક્યાં નહીં વપરાય એ સવાલ છે. આ ઇન્ટેલીજન્ટ સિસ્ટમ જે મશીન લર્નિંગના અલ્ગોરિધમ પર બંધાયેલી છે એ ભૂતકાળના અનુભવો અને ઐતિહાસિક ડેટામાંથી શીખવાની ક્ષમતા ધરાવે છે માટે એનો ઉપયોગ વ્યાપક જગ્યાએ થાય છે. જેમ કે મેડિકલ નિદાન, સ્પીચ અને ઇમેજ રેકગ્નિશન, ક્લાસિફિકેશન, પ્રિડીક્શન વગેરે વગેરે ...!! અસંભવિત લાગતા કામ પણ મશીન કરી શકેમશીન લર્નિંગનો ઉપયોગ એવી ટેકનિક અને ટૂલ્સમાં થાય છે જે રોગોના નિદાનમાં અને તેની આગાહીમાં મદદ કરી શકે છે. નાણાંકીય અને બેન્કિંગ ક્ષેત્રે મશીન લર્નિંગ અસંભવિત કામો કરી શકે છે. એ બેંકોને સ્માર્ટ નિર્ણયો લેવામાં મદદ કરી શકે છે. મશીન લર્નિંગની મદદથી તમે એકાઉન્ટ બંધ થાય એ પહેલા જોઇ શકો છો. આ ટેક્નોલોજીમાં ડેટા પ્રોસેસ કરવાનું અને એને છૂટા પાડવાનું કામ મુખ્ય છે એટલે એ બેન્કનો ગ્રાહક એના પૈસા કઇ રીતે ખર્ચે છે, એનો શું ઉપયોગ કરે છે એ ટ્રેક કરી શકે છે જે બેન્કને કઇ ટાઇપની પ્રોડક્ટ ગ્રાહકને વેચવી એ નિર્ણય લેવામાં મદદ કરી શકે છે. મશીન લર્નિંગના ચાર પ્રકારો છે.1. સુપરવાઇઝડ લર્નિંગ 2. અન-સુપરવાઇઝ્ડ લર્નિંગ 3. સેમી-સુપરવાઇઝ્ડ લર્નિંગ 4. રેઇનફોર્સમેન્ટ લર્નિંગ ચારે પ્રકારોના નામ જ કહી દે છે કે તેની કાર્યપદ્ધતિ શું હશે. છતાં પણ ટૂંકમાં સમજીએ તો અલ્ગોરિધમ-ડેટાનો એક સેટ હોય જે મશીનને આપવામાં આવે. સુપરવાઇઝ્ડ લર્નિંગમાં મશીન 'ચીંધ્યા કામનું કરનારું હોય'. રજનીકાંતની રોબોટ ફિલ્મમાં શરૂઆતનો રોબોટ જેનું નામ ચીટી છે તેને અસલી રજનીકાંતના મમ્મી એવો હુકમ આપે છે કે-જરા ટીવી ખોલ દો તો એ ટીવીને તોડીને ખોલી નાખે છે. એ સુપરવાઇઝ્ડ લર્નિંગનો પ્રકાર થયો. અન-સુપરવાઇઝ્ડ લર્નિંગમાં ભૂતકાળમાં અપાયેલા ડેટામાંથી નવી ટાસ્ક માટે જરૂરી અલ્ગોરિધમ સાથે મશીન આપોઆપ કનેક્શન સ્થાપે છે અને કામ કરે છે. સેમી-સુપરવાઇઝડ બંન્નેનું મિશ્રણ છે અને રેઇનફોર્સમેન્ટ લર્નિંગ એટલે જે રોબોટ ફિલ્મના ઇન્ટરવલ પછી થાય છે. જેમાં રોબોટ વિલન જાતે શીખે છે, જાતે બીજા રોબોટનું પ્રોડક્શન કરે છે. મશીન લર્નિંગનો ઉપયોગ પોલીસ, સાયબર ક્રાઇમ, ક્રાઇમ ડિટેકશન, ફોરેન્સિક લેબ, મેડિકલ સાયન્સ, વાયરસની વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ બધા ક્ષેત્રે થઇ રહ્યો છે. કદાચ એવું બને કે દૂરના ભવિષ્યમાં તમારે તમારા બાળકને ભણવા મુકવાનું રહે જ નહીં. એને બદલે એક રોબોટ વસાવવાનો જે તમારા બાળકને શીખવાડે અને પછી તમારા બધા કામ કરે અને જો એ રોબોટનું ફટક્યું તો તમારી ઉપરવટ પણ જાય!

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 6:32 am

SVNIT સુરત કરિયર બૂસ્ટર લઈને આવ્યું:SVNITમાં પાંચ હાઇબ્રિડ માસ્ટર્સ કોર્સ લોન્ચ, નોકરી સાથે ઇજનેરોને કેરિયર ગ્રોથ પણ મળશે

નોકરીના 9 થી 5 ના ચક્કરમાં જે એન્જિનિયર્સનું માસ્ટર્સ કરવાનું સપનું ફાઈલો નીચે દબાઈ ગયું હતું, તેમના માટે SVNIT સુરત કરિયર બૂસ્ટર લઈને આવ્યું છે. સંસ્થાએ વર્કિંગ પ્રોફેશનલ્સ માટે લર્નિંગ અને અર્નિંગનો સુમેળ સાધતા 5 હોટ ફેવરિટ M.Tech કોર્સ લોન્ચ કર્યા છે. ઓનલાઇન ક્લાસીસ અને ઓફલાઇન પરીક્ષાના હાઇબ્રિડ મોડલ દ્વારા પ્રોફેશનલ્સ હવે જોબ છોડ્યા વિના પોતાની પ્રોફેશનલ વેલ્યુ અને પર્સનલ ગ્રોથમાં અનેકગણો વધારો કરી શકશે. આ કોર્સમાં એડમિશન માટે ઉમેદવારો પાસે B.E./B.Tech માં 55% માર્ક્સ કે 6.0 CGPA હોવા જરૂરી છે તેમજ ગ્રેજ્યુએશન બાદ ઓછામાં ઓછો 1 વર્ષનો કામનો અનુભવ સાથે હાલની કંપની તરફથીનો ઓબ્જેક્શન સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે. તમામ ક્લાસીસ ઓનલાઇન લેવાશે, જેને કારણે ઉમેદવારે નોકરીમાંથી રજા લેવી પડશે નહીં. જ્યારે ડિગ્રીની વિશ્વસનીયતા જાળવવા માટે પરીક્ષા ઓફલાઇન કેમ્પસમાં લેવાશે. આ કોર્સનો સમયગાળો 3 થી 5 વર્ષની લવચીકતા વાળો છે, જેથી તમે તમારા વર્ક લોડ મુજબ ભણી શકો. કામની વાત : હાઈ-ડિમાન્ડ M.Tech કોર્સM.Tech (EE-E-Mobility)શું ભણાવશે: EV આર્કિટેક, બેટરી મેનેજમેન્ટ-ચાર્જિંગ સ્ટેશન ટેકનોલોજી. M.Tech (ME ઈલેક્ટ્રોનિક એન્જિ.)(VLS-એમ્બેડેડ સિસ્ટમ)શું ભણાવશે: IC ડિઝાઇન (ચિપ ડિઝાઇન), સેમિકન્ડક્ટર ફિઝિક્સ અને સિસ્ટમ ઓન ચીપ (SoC). M.Tech (Civil) (વોટર રિસોર્સ / સ્ટ્રક્ચર / ટ્રાન્સપોર્ટેશન)શું ભણાવશે : આધુનિક ડેમ ડિઝાઇન, ભૂકંપ પ્રતિરોધક ડિઝાઇન, હાઈવે પ્લાનિંગ અને આધુનિક બાંધકામ મટીરિયલ. M.Tech (MED) (એડવાન્સ અને ડિઝાઇન-પ્રોડક્શન)શું ભણાવશે: કોમ્પ્યુટર એઇડેડ ડિઝાઇન, રોબોટિક્સ-સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ. M.Tech (PE D)શું ભણાવશે: રિન્યુએબલ એનર્જી (સોલર/વિન્ડ) ઇન્ટિગ્રેશન અને સ્માર્ટ ગ્રીડ મેનેજમેન્ટ. નોંધ: આ કોર્સ માટે ઓનલાઇન અરજી કરવા તેમજ વધારે વિગતો માટે https://mis.svnit.ac.in/svmtech વેબસાઇટ જોતા રહેવું

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 6:31 am

સન્માન કાર્યક્રમ યોજાયો:વૈષ્ણવ વરિષ્ઠ પરિવારનો સન્માન કાર્યક્રમ, વડીલ વંદના પણ કરાઈ

વૈષ્ણવ વરિષ્ઠ પરિવાર, અડાજણ દ્વારા લગ્ન જીવનના 50 વર્ષ તથા જીવનના 75, 80, 85 અને 90 વર્ષ પૂર્ણ કર્યા હોય એ વડીલોનો સત્કાર કરવા માટે 26 જાન્યુઆરીના રોજ ઈશીતા પાર્ક, અડાજણમાં સિનીયર સીટીઝન હોલ ખાતે યોજાયો હતો, સંસ્થાનાં પ્રમુખ કિરીટભાઈ પચ્ચીગર, ઉપપ્રમુખ પ્રકાશભાઈ સુતરીઆ અને મંત્રી કિશોરભાઈ ટેલરના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે અતુલભાઈ કાપડિયા અને અતિથી વિશેષ તરીકે પ્રકાશબાબુ મિસ્ત્રી તથા નિતિનભાઈ ઝવેરી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વૈષ્ણવ વરિષ્ઠ પરિવારની ૧૩ મી વર્ષગાંઠની ઉજવણી, વડીલ વંદના અને પુત્રવધુનું સન્માનનું આયોજન કરાયુ હતું. જેમાં સિનિયર સિટિઝન્સનું અસલ લગ્નની પ્રથાનાં રૂપે રજુ કરાયું હતું,

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 6:29 am

સમૂહલગ્નનું આયોજન કરાયું:વાવ પંથક જૈન સમાજના 27માં સમૂહલગ્નમાં 35 યુગલો જોડાશે

ઉત્તર ગુજરાતના વતની વાવ પંથક જૈન સમાજ કુરિવાજોને તિલાંજલી આપીને આધુનિકતા સાથે કદમ મેળવી રહ્યો છે. તેને દૂર કરવા માટે સતત 27માં વર્ષે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વાવ પંથક છેલ્લા ઘણા વર્ષોથી એવા સમૂહ લગ્ન દ્વારા સમાજ ને જોડી રહ્યું છે અને મોંઘવારીમાં કોઈપણ લોકોને આર્થિક રીતે કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે સમાજ સતત આ આયોજન કરી રહ્યું છે. 5 ફેબ્રુઆરી એ પાલ ખાતે આ સમૂહલગ્ન યોજાશે જેમાં અંદાજે 5000 જેટલા લોકો ઉપસ્થિત રહીને નવ દંપતીઓને આશીર્વાદ આપશે. પ્રથમ વાર નવા અભિગમ સાથે સગાઈ અને મોસાળું એક સાથે જ કરવામાં આવ્યું હતું. જે સમાજના રીત ભાતને અલગ ઓળખ આપેછે. વિવિધ લાભાર્થી પરિવારો દ્વારા અલગ અલગ લાભો લેવામાં આવ્યા છે. 2 મહિના પૂર્વે જ સમગ્ર આયોજન માટેની રૂપરેખા તૈયાર કરી દેવામાં આવી હતી. વાવ સમાજના અગ્રણી મહેન્દ્રભાઈ વોરા એ જણાવ્યું કે સામાજિક અને આર્થિક કર્યો કરીને સમાજને એક તાંતણે બાંધીને જરૂરિયાતના સમયે એકબીજા સાથે ઊભા રહે છે. દરેક ક્ષેત્રોમાં પ્રગતિ કરી ને સુરતના વિકાસમાં ફાળો આપ્યો છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 6:28 am

ઇન્ડસ્ટ્રીને બુસ્ટ મળશે:સરસાણામાં ત્રિદિવસીય એનર્જી, પાવર, ઇલેકિટ્રકલ એક્ષ્પો

ચેમ્બર ઓફ કોમર્સ અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે 6થી8 ફેબ્રુઆરી, સવારે 10થી સાંજે 7 કલાક દરમ્યાન સુરત ઇન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે એનર્જી–પાવર–ઇલેકિટ્રકલ એક્ષ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા ઊર્જા, પાવર અને ઇલેકિટ્રકલ ક્ષેત્રના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને એનર્જી, પાવર, ઇલેકિટ્રકલ એક્ષ્પો માત્ર એક એકિઝબિશન નથી, પરંતુ ઊર્જા ક્ષેત્રની અદ્યતન ટેકનોલોજી, નવીન ઉત્પાદનો અને સસ્ટેનેબલ સોલ્યુશન્સ માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે. સરકારની નીતિઓ, પીએસયુઝની ક્ષમતા અને ઔદ્યોગિક એકમોની નવીનતા આ ત્રણેય વચ્ચે અસરકારક જોડાણ સ્થાપિત કરવાનો હેતુ છે. પાવરીંગ ધ ફ્યુચર ટુડેના થીમ હેઠળ એકિઝબિશન દ્વારા ગ્રીન એનર્જી, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર અને આત્મનિર્ભર ભારતના વિઝનને મજબૂતી મળશે. 6 ફેબ્રુઆરી, સવારે 10 કલાકે બિહારના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાનના હસ્તે એકિઝબિશનનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. ‘જ્ઞાન વિનિમય માટે એક મહત્વપૂર્ણ મંચ’વિજય મેવાવાલાએ જણાવ્યું કે,. આ એક્ષ્પો ઉદ્યોગ સાહસિકો, રોકાણકારો, નીતિ નિર્માતાઓ, ટેકનોલોજી પ્રોવાઇડર્સ તેમજ વિદ્યાર્થીઓ માટે નેટવર્કિંગ, બિઝનેસની તકો અને જ્ઞાન વિનિમય માટે એક મહત્વપૂર્ણ મંચ પૂરું પાડશે. એક્સપોમાં ગર્વમેન્ટના વિભાગો પણ ભાગ લેશેઉપપ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, સુરતના 29 તથા અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, પૂણે, મુંબઇ અને ગાઝિયાબાદના મળી 60 એકિઝબિટર્સ એક્ષ્પોમાં ભાગ લેવામાં આવ્યો છે, જેમાં 65 ટકા મેન્યુફેકચરર્સ અને 35 ટકા ટ્રેડર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સનો સમાવેશ થાય છે. એકિઝબિટર્સ દ્વારા રિન્યુએબલ એન્ડ કિલન એનર્જી સેકટર, સપોર્ટીંગ સર્વિસિસ એન્ડ સોલ્યુશન્સ, ઇલેકિટ્રકલ ઇકિવપમેન્ટ અને કોમ્પોનન્ટસ અને સસ્ટેનેબિલિટી અને ગ્રીન ટેક સેગમેન્ટમાં વિવિધ પ્રોડકટનું પ્રદર્શન કરાશે. આ એક્ષ્પોમાં ગવર્નમેન્ટ વિભાગો, તેમજ કોર્પોરેટ સેગમેન્ટ્‌સ ભાગ લેશે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 6:27 am

લોકોને જાગૃત કરવા નવો કીમિયો:ગેરકાયદે નળ-ગટર નિયમિત કરવાની યોજનાને બચાવવા હોર્ડિંગ્સ લગાવાશે

ગેરકાયદે નળ અને ગટર જોડાણોને નજીવા દંડ સાથે નિયમિત કરવા જાહેર કરાયેલી યોજનાને ખાસ પ્રતિસાદ મળી રહ્યો નથી, જેથી યોજના ફિયાસ્કો ન બને તે માટે હવે શહેરભરમાં હોર્ડિંગ્ઝ લગાવી પ્રચાર કરવા તૈયારી શરૂ કરાઈ છે. સ્ટોર્મ લાઇનમાં ગેરકાયદે ગટર જોડાણોથી પાણી પુરવઠાને સીધી અસર થઈ રહી છે. જન જાગૃતિનો અભાવ હોવાનું સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સપાટી પર આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીએ 22 જાન્યુઆરીએ સુઓમોટો દરખાસ્ત લાવી રહેણાક એકમો કે જેમની પાસે BU પણ ન હોય અને ગેરકાયદે નળ જોડાણ ધરાવતા હોય તો 31 ડિસેમ્બર, 2026 સુધીમાં 500 રૂપિયા ભરી જોડાણ નિયમિત કરાવવા મંજૂરી અપાઇ હતી. તેમ છતાં મોટાભાગના મિલકતદારોને આ યોજના વિશે યોગ્ય જાણકારી ન હોવાનો મુદ્દો ગત સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સભ્ય જિતેન્દ્ર સોલંકીએ ઉપાડ્યો હતો. તેમણે કહ્યું કે, જોડાણો કાયદેસર કરવા તથા મિલકતવેરા પર વ્યાજ માફી અંગેના બોર્ડ-બેનર પ્રસિદ્ધ કરવા જોઇએ, જેથી મિલકત ધારકો પૂરેપૂરો લાભ લઇ શકે. લોકોમાં રહેલી દંડ-ચાર્જની મૂંઝવણ પણ દૂર થવી જોઇએલોકોમાં રહેલી દંડ અને ચાર્જની મૂંઝવણ પર દૂર થવી જોઇએ. લોકોમાં એવો ડર છે કે જો તેઓ સામે ચાલીને જોડાણ નિયમિત કરાવવા જશે, તો મોટો દંડ ભરવો પડશે. એટલું જ નહીં પણ કાગળિયા એકત્રિત કરવા અને અટપટી વહીવટી પ્રક્રિયા માટે ધક્કા ખાવા પડતા હોવાની પણ સામાન્ય વ્યક્તિમાં ફેલાયેલી ગેરસમજ દૂર કરવી જોઇએ.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 6:26 am

મુસાફરોની સુવિધામાં વધારો:ઉધનાથી હૈદરાબાદ માટે દર શુક્રવારે સ્પેશિયલ ટ્રેન, આજથી બુકિંગ

ઉધનાથી તેલંગાણાના ચર્લપલ્લી (હૈદરાબાદ) વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. ટ્રેન 07509 ઉધના-ચર્લપલ્લી સ્પેશિયલ 6 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી દર શુક્રવારે રાત્રે 22:45 કલાકે ઉધનાથી રવાના થશે અને બીજા દિવસે સાંજે 7 કલાકે ગંતવ્ય સ્થાને પહોંચશે . પરતમાં ટ્રેન 07508 ચર્લપલ્લીથી દર ગુરુવારે રાત્રે 11:30 કલાકે ઉપડી બીજા દિવસે રાત્રે 8:30 કલાકે ઉધના પરત આવશે. આ ટ્રેન બંને દિશામાં નંદુરબાર, જલગાંવ, ભુસાવળ, મલકાપુર, અકોલા, વાશિમ, હિંગોલી ડેક્કન, બસમત, પૂર્ણા, નાંદેડ, મુદખેડ, ધર્માબાદ, બસર, નિઝામબાદ, કામારેડ્ડી અને મેડચલ સ્ટેશનો પર ઉભી રહેશે. ટ્રેનની સંરચનામાં ફર્સ્ટ એસી, એસી-2 ટિયર, એસી-3 ટિયર, સ્લીપર અને જનરલ કોચનો સમાવેશ કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ટ્રેનનું બુકિંગ 5 ફેબ્રુઆરીથી તમામ ટિકિટ બારીઓ અને IRCTCની વેબસાઈટ પર શરૂ કરી દેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 6:24 am

વેધર રિપોર્ટ:દિવસનો પારો 1 ડિગ્રી અને રાત્રિનો દોઢ ડિગ્રી વધતાં ઠંડીમાં રાહત

સુરત શહેરમાં દિવસે ગરમી અને રાતે હળવી ઠંડી સાથે મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. આ બાબતે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બુધવારે સુરત શહેરનું મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી અને લઘુતમ તાપમાન 20.6 ડિગ્રી નોંધાયું હતું. ગઇકાલની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રી અને લઘુતમ તાપમાનમાં 1.6 ડિગ્રીનો વધારો થયો હતો. ઉત્તર-પશ્ચિમ દિશાથી 6 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયા હતા. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 75 ટકા અને સાંજે 63 ટકા નોંધાયું હતું. આગામી બે દિવસ પણ ઠંડીનો પારો 20થી 21 ડિગ્રી રહેશે, જ્યારે દિવસનું તાપમાન 33 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 6:23 am

ડમ્પિંગ યાર્ડ 3 દિવસથી લાલચોળ:કચરાની આગ ‘દબાવવા’ 20 લાખ લિટર પાણી ઓછું પડતાં 150 ટન માટી નંખાઈ છતાં બેકાબૂ

ખજોદમાં સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ સાઈટ પર કચરાના વિશાળ ઢગલામાં સોમવારે લાગેલી આગ 72 કલાકે પણ કાબૂમાં આવી રહી નથી. 20 લાખ લિટર પાણીનો મારો ચલાવવા છતાં આગ ઠરવાનું નામ નહીં લેતાં આખરે બુધવારે 150 ટન માટી વેસ્ટ નાંખીને આગને બુઝાવવાનો પ્રયાસ કરાયો હતો. સતત 3 દિવસથી ફેલાતા ઝેરી ધુમાડાને પગલે GPCBએ પાલિકાને પત્ર લખીને પુછ્યું હતું કે, ‘ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે શું પગલાં લેશો’ આ સાથે જ આ ઘટનાનો વિસૃત અહેવાલ પણ માંગ્યો હતો. 30 લાખ ટન કચરામાંથી 8 લાખ બચ્યો, રોજનો 8 હજાર ટનનો ઉમેરો ઓપરેશન ‘ખજોદ’: 12 પોકલેન, 15 હાઇવાને મેદાનમાં ઉતારાયાંકચરાના પહાડ પર ફાયર ફાઇટર અને માટી ભરેલી ગાડીઓ જઈ શકે તે માટે 12 પોકલેન મશીનો દ્વારા રસ્તો બનાવવામાં આવ્યો હતો. 15 જેટલા હાઇવા ટ્રેક્ટરોએ 5-5 ફેરા મારીને 150 ટન માટી આગગ્રસ્ત વિસ્તારમાં ઠાલવી છે. પાલિકાનો દાવો છે કે 90% આગ કાબૂમાં છે, પરંતુ પવનની ગતિ અવરોધ બની રહી છે. ગેરરીતિના ગંજ વચ્ચે ‘શંકાસ્પદ’ આગ 1. કોન્ટ્રાક્ટની અવધિ: સી.ડી. ટ્રાન્સપોર્ટ એજન્સીની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં નવી એજન્સી ન મળતાં હાલમાં આ જ એજન્સી પાસે કામ કરાવાય રહ્યું છે. 2. કૌભાંડની તપાસ: કચરો પ્રોસેસ વિના બારોબાર ગામોમાં નિકાલ કરવાના કૌભાંડમાં એજન્સી અને અધિકારીઓ સામે તપાસ ચાલુ છે ત્યારે જ આગ લાગતાં અનેક શંકા જન્મી છે. 3. મિથેનનું બહાનું: તંત્ર મિથેન ગેસને કારણ ગણાવી રહ્યું છે, પણ 8 લાખ ટન કચરાના નિકાલમાં કરવામાં આવેલી આળસ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. મિથેન ગેસને કારણે કચરાના વિશાળ જથ્થામાં આગ લાગી હોવાની શક્યતા છે. રિપોર્ટ મુજબ આગ લગભગ નિયંત્રણમાં આવી ગઈ છે. > એમ. નાગરજન, મ્યુનિસિપલ કમિશનર

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 6:20 am

સિટી એન્કર:યુવતીને ‘આંખે દોઢ નંબર છે’ કહી લગ્ન કરાવી દીધા, પતિને બાદમાં ખબર પડી કે 16 નંબર છે, માંડ દેખાય છે, બે મહિનામાં જ છૂટાછેડા

ફેમિલી કોર્ટમાં એક વિચિત્ર કિસ્સો આવ્યો હતો, જેમાં પત્નીએ પોતાની આંખની બીમારી અંગે સાસરિયાને જાણ કરી ન હતી. જો કે, લગ્ન બાદ ભોપાળુ ખુલતાં પતિએ છુટાછેડા લઈ લીધા હતા. પતિ ત્યારે ચોંકી ગયો જ્યારે પત્નીની તબિયત ખરાબ થતાં ચેકઅપ કરવાની જરૂર પડી, જેમાં જાણવા મળ્યું કે એક આંખમાં તો 16 નંબર છે! સમગ્ર સ્થિતિનો ખુલાસો થતાં સાસરિયાઓએ એવું કહ્યું કે આંખની સમસ્યાના લીધે સગપણ આવતું ન હતું, જેથી વાત છુપાવી હતી. આ ખુલાસા બાદ બંને જુદા રહેવા લાગ્યા પણ પત્નીએ છુટા ન થવું હોય તેણે ઝેર પી જવાની ધમકી પણ આપી હતી. અરજદાર તરફે એડવોકેટ જીગ્નેશ હરિયાણીએ દલીલો કરી હતી. અમદાવાદ ચેક કરાવ્યું તો ડોકટરે કહ્યું ‘અરે, તમને તો કહ્યું હતું કે 16 નંબર છે’લગ્નના બીજા દિવસે પત્નીની તબિયત બગડતાં તેને નજીકની હોસ્પિટલ લઇ જવાઈ હતી, પરંતુ બીજા દિવસે ફરી તબીયત લથડતાં સંપૂર્ણ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ દિવસે પત્નીએ કહ્યું હતું કે મને બંને આંખમાં દોઢ-દોઢ નંબર છે. ત્રીજા દિવસે પતિએ કહ્યું કે ચશ્માની નવી ફ્રેમ બનાવી લઈએ. ત્યારે પત્નીએ કહ્યું કે મેં તમારાથી એક વાત છુપાવી હતી કે મને બંને આંખમાં દોઢ-દોઢ નહીં પરંતુ ત્રણ-ત્રણ નંબર છે. પછી બંને નવી ફ્રેમ લેવા ગયા હતા તો ત્યાં ફ્રેમ બનાવનારને જ ખ્યાલ આવ્યો નહીં કે કયો નંબર છે. આથી બાદમાં બંને હોસ્પિટલ ગયા હતા જ્યાં પત્નીની આંખમાં ટીપા નંખાતા પતિ બહાર આવ્યો હતો ત્યારે ડોકટરે કહ્યું હતું કે એક આંખમાં અઢી નંબર છે જે ક્રોસ છે અને બીજી આંખમાં 16 નંબર છે. આ સાંભળતા જ પતિ ડઘાઈ ગયો હતો. તેણે પૂછ્યુ કે આનો કોઈ ઇલાજ છે તો ડોકટરે કહ્યું કે નશો સૂકાઈ ગઈ છે. હવે ઇલાજ શક્ય નથી. જો કે, સાસરિયાઓએ આ રિપોર્ટ પર વિશ્વાસ નથી કહીને વાત ફગાવી દીધી હતી અને બધા અમદાવાદ ગયા હતા જ્યાં ડોકટરે પત્નીને જોઈને જ કહી દીધું હતું કે તમને તો અગાઉ કીધું હતું કે 16 નંબર છે! અંતે બંનેના છુટાછેડા થયા આખું ભોપાળું ખબર પડી જતાં પતિ આખરે કોર્ટમાં પહોંચ્યો હતો અને તેણે સમગ્ર હકીકત વકીલ મારફત કોર્ટ સમક્ષ રજૂ કરી હતી અને કોર્ટે દલીલો માન્ય રાખીને છુટાછેડાની અરજી મંજૂર કરી દીધી હતી.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 6:15 am

આત્મહત્યા:ધો.12 સાયન્સની વિદ્યાર્થિનીએ ફ્લેટની અગાસી ઉપરથી મોતની છલાંગ લગાવી

મકરપુરાના હવેલી રેસીકોમ ફ્લેટમાં રહેતા નિવૃત એરફોર્સ ઓફિસરની ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી 20 વર્ષીય દિકરીએ ફ્લેટની અગાસીમાંથી મોતની છલાંગ લગાવી હતી. ઘટના ફ્લેટના સીસીટીવીમાં કેદ થઈ હતી. વિદ્યાર્થિનીને ધો.10ની બોર્ડની પરીક્ષામાં ઓછા માર્ક આવતાં તે તણાવમાં હતી. તેની દવા પણ ચાલતી હતી. ગત શનિવારે માતા, ભાઇ અને વિદ્યાર્થિની જ ઘરે હતાં. માતા સુઇ ગયા બાદ ફ્લેટના કપાઉન્ડમાંથી અવાજ આવતા તે નીચે ગયા હતા, જ્યાં દિકરી બેશુદ્ધ પડી હતી. જેને હોસ્પિટલમાં લઈ જતાં મૃત જાહેર કરાઇ હતી. પોલીસે વિદ્યાર્થિનીના રૂમની તપાસ કરતાં કંઈ શંકાસ્પદ મળી આવ્યું નહોતું. વિદ્યાર્થિનીના પિતાએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, દીકરી તાણમાં રહેતી હતી. 10 મિનિટ અગાસીમાં રોકાઇવિદ્યાર્થિની અગાસીમાં પહોંચી અને તેની 10 મીનીટ બાદ તેણે જંપલાવ્યું હતું. અગાસીની પાળી પોણા પાંચ ફૂટ ઊંચી છે અને ત્યાં સોલાર પેનલના એંગલ લગાવેલા છે. જેથી તે એંગલ દ્વારા તેણે પાળી પર ચડવાનો પ્રયાસ કર્યો હશે. તેવું પોલીસનું માનવું છે. ઉલ્લેખનીય છે કે, હવેલી રેસિકોમ ફ્લેટની બિલ્ડીંગની ઊંચાઇ 65 ફૂટ છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 6:12 am

ફરિયાદ નોંધાઈ:મહિલા મિત્રે પૈસા પરત ન આપતા સાડીની વેપારીએ ફરિયાદ નોંધાવી

શહેરના કોઠારિયા રોડ કૈલાસપાર્ક-3માં રહેતા જયાબેન રમેશભાઈ ગરનારા(ઉં.વ.57) દ્વારા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે 150 ફૂટ રિંગ રોડ અરાઈઝ-2માં રહેતી પ્રીતિ બીપીનભાઈ કારેલીયાનું નામ આપ્યું હતું. જયાબેન સાડીનો વેપાર કરે છે. સાડીનો જ વેપાર કરતી પ્રીતિને તેણી 20 વર્ષથી ઓળખે છે. આ પ્રીતિ અવારનવાર તેની પાસેથી હાથ ઉછીના પૈસા લઇ જતી હોય જેથી વર્ષ 2019માં તેના હસ્તક હંકારવા આપેલી તેની જ શેરીમાં રહેતા ભીમજીભાઈ રાઠોડની કારનું અકસ્માત થતા પ્રીતિ તેની પાસેથી 1.10 લાખ હાથ ઉછીના લેવા આવી હોય પૈસાની સગવડતા ન હોય તેથી પોતે પોતાના દાગીના મુથુટમાં મૂકી તેણીને 1.10 લાખ ઉછીના આપ્યા હતા. એક વર્ષ પછી તેણીને ઘરેણા છોડાવવા રૂપિયાની માંગણી કરતા તેણીએ સગવડતા ન હોવાનું કહેતા લોન રીન્યુ કરાવી હતી. અંતે મુથુટ ફાઈનાન્સમાં તેના ઘરેણાની હરાજી થઇ જતા તેણીને ફરી પૈસાની જરૂર પડતાં તે રૂ.3.05 લાખ હાથ ઉછીના લઇ ગઈ હતી. આ ઉપરાંત પ્રસંગમાં ઘરેણા પહેરી જવાનું કહી ઘરેણા પરત ન આપી તથા કરિયાણા અને અલગ અલગ બહાના કાઢી કુલ રૂ.6.31 લાખ પડાવી જઈ ઠગાઈ આચરતા તેણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 6:11 am

આધેડનું હાર્ટ અટેકથી મોત:બેંગલોરથી રાજકોટ આવેલા આધેડનું હૃદય બેસી જતાં મૃત્યુ

રાજકોટના સ્પિડવેલ પાર્ટી પ્લોટ પાસે શ્યામ સ્કાય લાઇફ એપાર્ટમેન્ટ બી-1204માં રહેતાં રાજભાઇ ત્રાંબડિયા (ઉ.વ.47) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહીં મૃત જાહેર કરવામાં કરાયા હતા. બેંગ્લોર રહી નોકરી કરતાં રાજભાઇ બે દિવસ પહેલા જ અહિ આવ્યા હતાં. હાર્ટએટેક આવી જતા મોત નીપજ્યું હતું. રાજભાઇ ગઇકાલે ઘરે જમીને સૂતા હોય બાદમાં તેમના માતા ભાવનાબેન તેને જગાડવા જતાં તેઓ ન જાગતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં અહિ મૃતદેહ જ પહોંચ્યાનું જાહેર થયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. રાજભાઇ એક બહેનથી મોટા હતાં. તેમને સંતાનમાં એક દીકરો છે. પોતે બેંગ્લોર રહી નોકરી કરતાં હતા. દીકરો રાજકોટમાં ભણતો હોય તે તથા પત્ની અહીં રાજકોટ રહેતાં હતાં. બે દિવસ પહેલા જ રાજકોટ માતા, પત્ની, પુત્રને મળવા આવ્યા હતાં. આ બનાવથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે. જ્યારે રૈયા ટેલિફોન એક્ચેન્જવાળી શેરીમાં રહેતાં કમલેશભાઇ જેઠાણી (ઉ.વ.37) નામના યુવાનનું હૃદય બેસી જવાથી મૃત્યુ થયું છે. યુવક રાત્રે પાણી પીવા માટે ઊભો થયેલ એ સાથે જ એકાએક બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ અહીં તબીબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોક છવાયો છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર કમલેશભાઇ બે ભાઈથી નાના અને અપરિણીત હતાં.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 6:10 am

પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડમાં પ્રવેશ અપાવ્યો:અતુલ પુરોહિતે 12 મનોદિવ્યાંગ બાળકોની જવાબદારી સ્વીકારી

જાણીતા ગરબા ગાયક અતુલ પુરોહિત અને સમાજ સેવક રાજેશ પટેલે 12 મનોદિવ્યાંગ બાળકોની જવાબદારી સ્વીકારી છે. આ સાથે બાળકોને પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશ્યલી એબલ્ડમાં પ્રવેશ અપાવ્યો હતો. જે માટે ખાસ પ્રવેશોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ બાબતે અતુલ પુરોહિતે જણાવ્યું હતું કે, શિખર, ધજા કે દેવ વગરના મંદિર એવા આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ શાળાના બાળકોની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. શાળામાં હાલમાં 122 મનોદિવ્યાંગ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. જેમાં વધુ 12 બાળકોનો ઉમેરો થયો છે. પ અતુલ પુરોહિતે અપીલ કરી હતી કે, આપણે ઓછામાં ઓછા એક મનોદિવ્યાંગ બાળકની જવાબદારી સ્વીકારીને તેઓના વિકાસના સહભાગી થવું જોઈએ. સંસ્થા બાળકોની સારસંભાળ લે છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 6:09 am

મ.સ. યુનિ.ના સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા વિશ્વ કેન્સર દિવસે જાગૃતિ અભિયાન:સકારાત્મક રહેવું એ શ્રેષ્ઠ દવા છે, જે તમે પણ લઈ શકો છો: ડૉ.વિરેન્દ્રસિંહ

મ.સ.યુનિના સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા કેન્સર સામેની લડાઈમાં જાગૃતિ, સકારાત્મકતા અને સામૂહિક જવાબદારીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે વિશ્વ કેન્સર દિવસ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન વૈશ્વિક વિશ્વ કેન્સર દિવસની થીમ, ‘યુનાઇટેડ બાય યુનિક’ સાથે ઉજવવામાં આવ્યું હતું. જેમાં ભાર મૂકવામાં આવ્યો હતો કે, દરેક કેન્સર દર્દીની યાત્રા અલગ હોય છે, પરંતુ માનવતા આશા, સંભાળ, અને સહિયારી જવાબદારી દ્વારા તમામ દર્દીઓ એક રહે છે. આ કાર્યક્રમ વિભાગના વડા ડૉ. વીરેન્દ્ર સિંહ તથા ફેકલ્ટી સભ્યો હાજર રહ્યા હતા. આ ઝુંબેશના ભાગ રૂપે, વિદ્યાર્થીઓએ આશા, શક્તિ અને એકતાનું પ્રતીક કરતા નારંગી અને વાદળી રંગના જાગૃતિ રિબન તૈયાર કરી પહેરી હતી. સહાનુભૂતિ, જાગૃતિ અને સામૂહિક સમર્થનના મૂલ્યોને મજબૂત બનાવી વિદ્યાર્થીઓને સર્જનાત્મક રીતે જોડવા માટે રિબન બનાવવાની પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. સભાને સંબોધતા, ડૉ. વિરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, ‘સકારાત્મક રહેવું એ શ્રેષ્ઠ દવા છે, જે તમે લઈ શકો છો’.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 6:09 am

રાજકોટના તાંત્રિક સામે પોલીસ ફરિયાદ:ઓસ્ટ્રેલિયા રહેતો યુવક PR માટે તાંત્રિકની જાળમાં ફસાયો, રૂ. 24.23 લાખ ગુમાવ્યા

રાજકોટમાં રહેતા તાંત્રિકે વિધિના બહાને અમદાવાદના વતની અને ઓસ્ટ્રેલિયા રહેતા યુવક પાસેથી રૂ.24.23 લાખ પડાવ્યા હતા અને વધુ પૈસા પડાવવા ધમકી આપી હતી. અમદાવાદમાં બોડકદેવ વિસ્તારમાં રહેતા જયંતીલાલ ભુરાજી પરમાર (ઉ.વ.55)એ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગુંદાવાડીના સતિષ રામજી ધામીનું નામ આપ્યું હતું. જયંતીલાલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમનો મોટો દીકરો અંકિત ઓસ્ટ્રેલિયા રહે છે અને તેને પરમેનન્ટ રેસિડેન્સી (પીઆર)ની સમસ્યા હતી તેમજ જયંતીલાલના પત્ની જયશ્રીબેનને પગમાં દુખાવો રહેતો હતો. આ બાબતે અંકિતે ઓસ્ટ્રેલિયામાં તેની સાથે રહેતા પાર્થ ચોવટિયાને વાત કરતાં તેણે રાજકોટમાં સતિષ ધામી ચમત્કારિક તાંત્રિક છે અને તેની પાસે વિધિ કરાવવાથી તમામ સમસ્યાનો અંત આવી જાય છે તેવી વાત કરતાં અંકિતે ઓસ્ટ્રેલિયાથી વિડીયો કોલ કરી તાંત્રિક સતિષ ધામીનો સંપર્ક કર્યો હતો અને સતિષ ધામીએ વિધિ માટે ખર્ચ થશે તેમ કહી પૈસાની માગ કરતાં અંકિતે રૂ.17,23,112 બેંકમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ પણ સમસ્યાનો અંત નહીં આવતાં સતિષ ધામીએ વધુ પૈસા માગ્યા હતા અને ફરીથી અંકિતે રૂ.5,00,400 આપ્યા હતા, રૂ.22 લાખથી વધુ રકમ આપી દેવા છતાં કામ નહી થતાં અંકિત અને તેના માતા-પિતા સહિતનાઓ અમદાવાદથી રાજકોટ આવ્યા હતા, સતિષે ફરીથી પૈસાની માગ કરી હતી. પૈસા આપવા છતાં કામ નહી થયાનું પરમાર પરિવારે કહેતા સતિષે ધમકી આપી હતી, ધમકીથી ડરી પરમાર પરિવારે રૂ.2 લાખ પણ ચુકવ્યા હતા, જોકે બાદમાં તેમને પોતાની સાથે છેતરપિંડી થયાનું સ્પષ્ટ થતાં ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 6:08 am

લૂંટ:રેલવે પ્લેટફોર્મ પરથી મદદના બહાને બોલાવી 7 હજારની લૂંટ

બિહારના વતની અને મેટોડામાં કારખાનામાં કામ રહેતાં મનીષ સુબોધકુમાર મંડલે (ઉ.વ.21) રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હિતેશ કનક જાંબુકિયા અને એક અજાણ્યો શખ્સ હોવાનું કહ્યું હતું. મનીષે ફરિયાદમાં જણાવ્યું હતું કે, વતન બિહાર જવા માટે પોતે ગત તા.3ના સાંજે સાતેક વાગ્યે જંકશન રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ઉભો હતો ત્યારે એક અજાણ્યો શખ્સ તેની પાસે આવ્યો હતો અને સામે દેખાતી અવાવરૂ જગ્યાથી ઘાસનો પૂડો ઉપાડવામાં મદદ કરવાનું કહી મનીષને લઇ ગયો હતો. બાવળની ઝાડીમાં જતાં જ તે શખ્સે પાપ પોકાર્યું હતું અને છરી કાઢી પૈસા આપી દેવા મનીષને ધમકાવ્યો હતો, તે શખ્સે મનીષ પાસેથી રોકડા રૂ.2 હજાર લૂંટી લીધા બાદ તેનો મોબાઇલ આંચકી લઇ તેના મોબાઇલમાંથી રૂ.5 હજારનું ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. ઘટનાથી ગભરાઇ ગયેલો મનીષ ઘરે જતો રહ્યો હતો, પોલીસે જેના બેંક એકાઉન્ટમાં રકમ જમા થઇ હતી તે બાબતે તપાસ કરતાં તે શખ્સ હિતેષ જાંબુકિયા હોવાનું ખુલતાં હિતેષ સહિત બંનેને ઉઠાવી લીધા હતા, પોલીસે આ મામલે વિશેષ તપાસ શરૂ કરી હતી.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 6:07 am

SIR કામગીરી:10 ફેબ્રુઆરી સુધીમાં SIR કામગીરી પૂર્ણ કરવા કેન્દ્રીય રોલ ઓબ્ઝર્વરનો આદેશ

નવેમ્બર માસથી રાજ્યભરમાં SIR અંતર્ગત મતદારયાદીની ઘનિષ્ઠ સુધારણાની કામગીરી અંતિમ તબક્કામાં છે ત્યારે બુધવારે કેન્દ્રીય ચૂંટણીપંચના રોલ ઓબ્ઝર્વર કે.કે.મિશ્રા રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેઓએ સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ જિલ્લાની SIRની કામગીરીની સમીક્ષા કરી હતી. સાથે જ આગામી તા.17 ફેબ્રુઆરીએ SIR બાદ તૈયાર થયેલી મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવનાર હોય તા.10 પહેલા હક્કદાવા સહિતની કામગીરી પૂર્ણ કરી લેવા સૂચના આપી હતી. SIR કામગીરીની સમીક્ષામાં ત્રણેય જિલ્લાની કામગીરી રોલ ઓબ્ઝર્વરે સંતોષજનક ગણાવી હતી. રાજ્યમાં 4 નવેમ્બરથી SIR અંતર્ગત ડોર ટુ ડોર એન્યુમરેશન ફોર્મના વિતરણથી ઘનિષ્ઠ મતદારયાદી સુધારણા બાદ ડિસેમ્બર માસમાં SIR બાદ તૈયાર થયેલી મતદારયાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરી હક્કદાવા રજૂ કરવા એક મહિનાનો સમય આપવામાં આવતા રાજકોટ જિલ્લામાં 29 હજારથી વધુ મતદારોએ પોતાના નામ ઉમેરવા અરજી કરી છે. સાથે જ અનમેપ મતદારોનું મેપિંગ પણ ચાલી રહ્યું છે ત્યારે બુધવારે કેન્દ્રીય ચૂંટણીપંચના રોલ ઓબ્ઝર્વર કે.કે.મિશ્રા રાજકોટની મુલાકાતે આવ્યા હતા. રાજકોટ ઉપરાંત મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની સમીક્ષા કરી હતી અને આગામી તા.10 પહેલા તમામ અરજીનો નિકાલ પૂર્ણ કરવા સૂચના આપી તા.17મીએ SIR બાદ તૈયાર થયેલી મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવા તંત્રને તૈયાર રહેવા સૂચના આપી હતી. SIR કામગીરીને તેમને સંતોષજનક ગણાવી હતી. જેતપુર બેઠકની નબળી કામગીરી બદલ ઠપકોકેન્દ્રીય ચૂંટણીપંચના રોલ ઓબ્ઝર્વર કે.કે.મિશ્રાએ રાજકોટ ખાતે મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાની SIR કામગીરીની સમીક્ષા દરમિયાન ત્રણેય જિલ્લાની કામગીરીને વખાણી હતી. જો કે, SIR કામગીરીમાં જેતપુર વિધાનસભા બેઠકની કામગીરી નબળી રહેતા રોલ ઓબ્ઝર્વર મિશ્રાએ જેતપુર બેઠકના જવાબદાર અધિકારીના ક્લાસ લઈ મીઠો ઠપકો આપ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 6:06 am

ફાર્મર રજિસ્ટ્રેશન:રાજકોટ જિલ્લામાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ 1,52,802 ખેડૂતોનું રજિસ્ટ્રેશન

કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય લાભ માટે ડિજિટલ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ રાજ્યના તમામ ખેડૂતો માટે ફાર્મર રજિસ્ટ્રેશન જરૂરી બનાવી પીએમ કિશાન યોજના માટે રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવ્યું છે ત્યારે રાજકોટ જિલ્લામાં નોંધાયેલ 2,52,251 ખેડૂતો પૈકી પીએમ કિસાન યોજના માટે એક્ટિવ 191560 લાભાર્થી ખેડૂતોમાંથી 1,52,802 ખેડૂતોની અરજી એપ્રૂવ કરવામાં આવી છે. મહત્વનું છે કે, સમગ્ર રાજ્યમાં ફાર્મર રજિસ્ટ્રેશન પ્રોગ્રામ અંતર્ગત પી.એમ.કિસાનમાં 88 ટકા ખેડૂતોના કેવાયસી અને જમીનોના લેન્ડ રેકોર્ડ્સ તેમજ રજિસ્ટ્રેશનની કામગીરી રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે જેની સામે રાજકોટમાં 79 ટકાથી વધુ કામગીરી પૂર્ણ થઇ છે. આગામી 31 માર્ચ સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ કરવામાં આવશે. રાજકોટ જિલ્લામાં જાન્યુઆરી મહિનાના અંતભાગ સુધીમાં 2,52,251 ખેડૂતો પૈકી 2,09,064 ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જેમાંથી 1,91,560 ખેડૂતોના પીએમ કિસાન યોજનાના ખાતા ચાલુ છે. રાજકોટ જિલ્લામાં સુધીમાં 152802 ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું છે. જેમાં સૌથી વધુ ગોંડલ તાલુકામાં 24000થી વધુ, જસદણમાં 19 હજાર, ઉપલેટામાં 14 હજાર, જેતપુરમાં 18 હજાર, રાજકોટ તાલુકામાં 15 હજાર, જામકંડોરણામાં 13 હજારથી, પડધરીમાં 9 હજાર, વીંછિયામાં 10 હજાર, કોટડાસાંગાણીમાં 8400 અને લોધિકા તાલુકામાં 5800થી વધુ રજિસ્ટ્રેશન પૂર્ણ થતા જિલ્લામાં 79 ટકાથી વધુ નોંધણી પૂર્ણ થઇ હતી. 60 હજારથી વધુ ખેડૂતોના એકાઉન્ટ ઈન-એક્ટિવપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, ખેડૂત પરિવારોને વાર્ષિક રૂ.6,000ની આર્થિક સહાય આપવામાં આવે છે રાજકોટ જિલ્લામાં નોંધાયેલ કુલ 2,52,251 ખેડૂતો પૈકી ખેડૂતો પૈકી 1,91,560 ખેડૂતોના ખાતા એક્ટિવ હોવાનું અને 60 હજારથી વધુ ખેડૂતોના ખાતા ઈન-એક્ટિવ હોવાનું જાણવા મળે છે. જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા તમામ ખેડૂતોને ગ્રામ્યકક્ષાએ વીસીઇ મારફતે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી લેવા અનુરોધ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 6:05 am

પરિણીતાએ કર્યો આપઘાત:કસુવાવડના દુઃખમાં નવોઢાએ પિતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો

શહેરના નાનામવામાં પિતાના ઘરે ઉત્તરાયણમાં આંટો દેવા આવેલી નવોઢાએ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં ઘેરો શોક છવાયો હતો. થોડા જ દિવસો પહેલા કસુવાવડ થઇ જતા તેણી દુઃખી રહેતી હોય પ્રથમ સંતાનનું કોખમાં જ મૃત્યુ થતા આઘાતમાં તેણીએ આ પગલું ભર્યું હતું. બનાવની પ્રાપ્ત વિગત અનુસાર શહેરમાં કાલાવડ રોડ પ્રેમમંદિર નજીક રહેતા દિવ્યાબેન રણજીતભાઈ સોલંકી(ઉ.વ.23) નામની પરિણીતાએ નાનામવા સમુદ્રીનગર આવાસ યોજનાના ક્વાર્ટર 48/9માં રહેતા તેના પિતા હરીભાઈ મકવાણાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેણીને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પરંતુ અહીં સારવાર લીધા પૂર્વે જ તેણીનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતા પીએસઆઈ આઈ.એ.બેલીમ સહિતના સ્ટાફે હોસ્પિટલ પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં આપઘાત કરનાર દિવ્યાબેનના સગાભાઈ પ્રભાતે જણાવ્યા અનુસાર, તેની બહેનના આઠ માસ પૂર્વે રણજીત સોલંકી સાથે લગ્ન થયા હતા. તેણી બે બહેન અને એક ભાઈમાં સૌથી નાની હતી. ઉત્તરાયણમાં માવતરે આવી હતી. કસુવાવડ થઇ જતા માતાએ તેણીને આરામ કરવા વધુ રોકાઈ જવાનું કહ્યું હતું. માતા-પિતા અને ભાઈ કામ પર ગયા બાદ તેણીએ આ પગલું ભરી લીધું હતું. તેણીના પતિને ઓટો ગેરેજ છે જ્યારે પિતા અને ભાઈ બંને રિક્ષામાં વાસણની ફેરીઓ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. બનાવથી પરિવારમાં ઘેરો શોક છવાયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પીએસઆઈ બેલીમે જણાવ્યા અનુસાર દિવ્યાને રાતે આંખમાં દેખાતું જ બંધ થઇ જતું હોય જેથી તે પરેશાન રહેતી હતી. હવે સમગ્ર બનાવમાં સત્ય શું છે અને શા માટે તેણીએ આપઘાત કર્યો? તે જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 6:05 am