SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

30    C
...

કતલખાના અને મટન માર્કેટબંધ રાખવા આદેશ:રામનવમી અને મહાવીર જયંતી નિમિત્તે કતલખાના અને મટન માર્કેટ બંધ રાખવા મનપાનો

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આગામી ધાર્મિક તહેવારો રામનવમી અને મહાવીર જયંતી ને ધ્યાનમાં રાખીને શહેરના મટન માર્કેટ અને કતલખાના બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ભાવનગર મહાનગરપાલિકા આગામી હિન્દૂ સમાજના ધાર્મિક તહેવારોને લઈ મટન માર્કેટ બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં આવતીકાલ તા.26/3/2026 (રામનવમી) તથા 31/3/2026 (મહાવીર જયંતી) બંને દિવસો દરમ્યાન બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે, મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા તમામ વેપારીઓને આદેશ આપવામાં આવ્યો છે કે આ દિવસો દરમિયાન માંસનો સંગ્રહ કે વેચાણ કરવું નહીં, જો કોઈ પણ વેપારી આ હુકમનો અનાદર કરતા ઝડપાશે, તો તેમની સામે ધારાધોરણ મુજબ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, ​આ આદેશ વેટરનરી ઓફિસર અને મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ દ્વારા સંયુક્ત રીતે બહાર પાડવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 7:58 pm

Editor's View: મુનીર માથે મધ્યસ્થીનો મુગટ:અમેરિકાથી ઑર્ડર છૂટ્યો! યુદ્ધ રોકવા પાકિસ્તાનનો કૂદકો, શરતો પર ઈરાનનો લાલ લીટો; ભારતનું ટેન્શન વધશે?

માર્ચ 2026ના અંતિમ દિવસો ગણાઈ રહ્યા છે અને એવામાં દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધના ઉંબરે ઊભી છે. પર્શિયન ગલ્ફમાં ઈરાન અને ઈઝરાયેલની મિસાઈલો આકાશ ચીરી રહી છે, હોર્મુઝ સ્ટ્રેટ બ્લોક થતા દુનિયાની તેલ નસ દબાઈ ગઈ છે. આ ભયાનક પરિસ્થિતિ વચ્ચે, વિશ્વની કિસ્મતની ચાવી એક એવા દેશના હાથમાં આવી છે જે પોતે આર્થિક દેવાળિયાપણાની કગારમાં છે… આ દેશ એટલે પાકિસ્તાન! પાકિસ્તાન અમેરિકા અને ઈરાન વચ્ચે ગેરંટર બનવા જઈ રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પના ફેવરિટ ફિલ્ડ માર્શલ માનાતા પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની નજર નીચે ઈસ્લામાબાદ હવે વર્લ્ડ પોલિટિક્સના સૌથી ખતરનાક ખેલનું સેન્ટર બનવા જવાનું છે. આ ખાલી શાંતિની વાત નથી પણ તેલ-ગેસ-મોંઘવારી અને ભૂખમરાથી બચવાનો પાકિસ્તાનનો છેલ્લો પ્રયાસ છે. પાકિસ્તાનની મધ્યસ્થીથી થનાર આ સિક્રેટ મીટિંગ શું ઈતિહાસ બદલી દેશે? જો પાકિસ્તાન સફળ થાય તો કાશ્મીર વિવાદ વધુ વકરશે? આજે આપણે તેની વાત કરીએ. નમસ્કાર… સૌથી પહેલા તો આપણે સમજીએ કે પાકિસ્તાન પાસે આટલી મોટી જવાબદારી આવી તો આવી કઈ રીતે? તો વાત જાણે એમ છે કે ઈરાન દુનિયાનો સૌથી વધુ શિયા મુસ્લીમ પોપ્યુલેશનવાળો દેશ છે. તેના પછી સૌથી વધુ શિયા મુસલમાન કોઈ દેશમાં હોય તો તે છે પાકિસ્તાન. હાં... પાકિસ્તાન સુન્ની બહુમતિવાળો છે તે વાત અલગ છે. પણ અહીં જોવા જેવી વાત એ છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ સીધી રીતે વાતચીત નથી થતી. ઈરાનને પોતાના પાડોશી મુસ્લિમ દેશો પર જે મિસાઈલનો મારો ચલાવ્યો ત્યારથી તે દેશો પણ ઈરાન સામે મોઢું ફૂલાવીને બેઠા છે. તો હવે ઈસ્લામિક દેશ તરીકે પાકિસ્તાન જ એવો દેશ બને જે ઈરાન અને અમેરિકા બંને સાથે મીડલમેન એટલે કે વચેટિયા તરીકે વાત કરી શકે. જો પાકિસ્તાન ઈસ્લામિક દેશ ન હોત તો તેની કોઈ હેસિયત નથી કે આટલા મોટા યુદ્ધમાં તે મધ્યસ્થી કરી શકે. પાકિસ્તાનને આટલી મોટી જવાબદારી કેમ? અગાઉ વાત કરી તેમ કતાર કે યુએઈ ઈરાનના એવા પાડોશીઓ અને ઈસ્લામિક ભાઈઓ છે જેમની પાસે અમેરિકન સૈન્ય મથકો છે. માટે જ તેને તબાહ કરવા માટે ઈરાને તેમના પર મિસાઈલ્સ છોડી હતી. પણ પાકિસ્તાનમાં અમેરિકાનું કોઈ સૈન્ય મથક નથી, માટે ઈરાને પાકિસ્તાન પર કોઈ મિસાઈલ નથી ચલાવી. પણ જો હોત તો ઈરાનની મિસાઈલ્સ પાકિસ્તાનના આકાશમાં પણ દેખાઈ હોત. આ સિવાય પાકિસ્તાન એકમાત્ર એવો ઈસ્લામિક દેશ છે જેની પાસે પરમાણુ તાકાત છે. માટે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ પણ પાકિસ્તાનની વાત સાંભળે તેવું છે. ટ્રમ્પના ફેવરિટ ફિલ્ડ માર્શલ મુનીર આ સિવાય એક ફેક્ટર એ છે કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીરના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સારો ઘરોબો છે. મુનીરને તો ટ્રમ્પે તેમના ફેવરિટ ફિલ્ડ માર્શલ પણ કહ્યા હતા. મુનીરની અમેરિકન ડિનર ડિપ્લોમસી પછી એવું કહેવાય રહ્યું છે કે અમેરિકા પાકિસ્તાન પર ઈરાન મામલે દાવ રમી શકે તેવો ઓપ્શન છે. હવે વાત કરીએ એ 15 મુદ્દાની જે અમેરિકાએ પાકિસ્તાનને વચ્ચે રાખીને ઈરાન સુધી પહોંચાડ્યા છે તેના વિશે. અમેરિકાએ ઈરાનને પ્રપોઝલ મોકલ્યો છે કે, ઈસ્લામાબાદની બેઠકમાં કોણ આવી શકે? જો ઈરાન આ બધી વાતો માની જાય તો પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા પર વાતચીત થઈ શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. વાતચીતમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ, જેરેડ કુશનર અને સ્ટીવ વિટકોફ શામેલ થઈ શકે છે. ઈરાન તરફથી તેમના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી અને સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના પ્રતિનિધિઓ ભાગ લે તેવી શક્યતા છે. પણ એવું કહેવાય છે કે આ 15 પોઈન્ટના પ્રસ્તાવમાં ઈરાને પાકિસ્તાન મારફતે અમેરિકાને પોતાનો પક્ષ પણ રાખ્યો છે. ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્લમાઈલ બાઘેઈએ પ્રસ્તાવના અમુક ભાગોને નકારી કાઢ્યા છે. અમેરિકાના પ્રપોઝલ પર ઈરાને જવાબ આપ્યો છે કે, યુદ્ધ ભૂખમરો અને અંધકાર લાવ્યું હવે વાત કરીએ પાકિસ્તાનની કારણ કે તેના માટે આ મધ્યસ્થી જીવન-મરણનો પ્રશ્ન છે. સમજીએ કઈ રીતે, પહેલા તો પાકિસ્તાન અત્યારે મોટી તેલ-ગેસની એનર્જી ક્રાઈસિસ સામે ઝઝૂમી રહ્યું છે. ઈઝરાયલ ઈરાન યુદ્ધ પાકિસ્તાન માટે ભૂખમરો અને અંધકાર લઈને આવ્યું છે. તેલ-ગેસના ભાવ વધતા પાકિસ્તાને પોતાની પાકિસ્તાન સુપર લીગમાં સરકારે સ્ટેડિયમમાં ભીડ ભેગી કરવાને બદલે વોચ ફ્રોમ હોમની વાત રાખી છે. યુદ્ધના કારણે પાકિસ્તાન પરેશાનપાકિસ્તાને પોતાની જરૂરતનું 85-90 ટકા જેટલું તેલ અને ગેસ બીજા દેશો પાસેથી ખરીદે છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બ્લોક કરી છે તેના કારણે પાકિસ્તાનની સપ્લાય ચેઈન ડખે ચઢી છે. પેટ્રોડ-ડીઝલના ભાવમાં સરેરાશ અંદાજે 200 ટકા જેટલો ભડકો થયો છે. જેના કારણે પાકિસ્તાન સરકારે શાળાઓ બંધ કરવી પડી છે અને કામકાજ માટે ફોર ડે વીક પ્લાન ઠોકી બેસાડ્યો છે. પાકિસ્તાન માટે ઈરાનની અસ્થિરતા એ બલૂચિસ્તાનમાં આતંકવાદ વધવાનું જોખમ છે. જો ઈરાન નબળું પડે, તો બલૂચ વિદ્રોહીઓ (BLA) વધુ સક્રિય થઈ શકે છે. આથી પાકિસ્તાન ઈચ્છે છે કે ઈરાનમાં શાસન સ્થિર રહે. આજની તારીખે સાઉદી અરેબિયામાં લાખો પાકિસ્તાનીઓ રહે છે અને કામ કરે છે. સાઉદીમાં અમેરિકાનું મિલેટરી બેઝ છે અને વિચારધારા અને યુદ્ધમાં સાઉદી અમેરિકા તરફ છે. પણ અહીં ઈન્ટ્રેસ્ટિંગ વાત એ છે કે જો સાઉદી અરેબિયા ઈરાનના કારણે પાકિસ્તાન પર કોઈ નિર્ણય લે તો ત્યાં કામ કરતા પાકિસ્તાનીઓને ઘરભેગા થવું પડે એવી પરિસ્થિતિ છે. પણ પાકિસ્તાને હોર્મુઝમાંથી પોતાના વેપારી જહાજો કાઢવા માટે ઓપરેશન મુહાભિજ ઉલ બહ્ર નામનું ઓપરેશન ચાલુ કર્યું છે જેથી તેની સપ્લાય ચેઈન ખોરવાય નહીં. ઈરાન સાઉદી પર હુમલો કરશે તો પાક.ના હાલ બેહાલ? ખાલી આટલું જ નહીં વર્ષ 2025ના સપ્ટેમ્બર મહિનામાં પાકિસ્તાને સાઉદી અરેબિયા સાથે SMDA નામની એક ડિલ પાર પાડી હતી. જેમાં એવી વાત છે કે પાકિસ્તાન પર હુમલો એટલે સાઉદી પર હુમલો અને સાઉદી પર હુમલો એટલે પાકિસ્તાન પર હુમલો ગણવામાં આવશે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે ઈરાન સાઉદી અરેબિયાની એનર્જી સેક્ટરને ટાર્ગેટ કરી રહ્યું છે. જો સાઉદીમાં ઈરાન મોટો હુમલો કરી દે તો ન ચાહતા હોવા છતા પાકિસ્તાનને પોતાની ન્યુટ્ર્લ પોઝિશન પર ચોકડી મારીને સાઉદી સાથે ઈરાન સામે બાંયો ચઢાવવી પડશે. દેશમાં ઓહાપોહ છતાં પાક.ના ડીંગા? આવું પાકિસ્તાન હરગીઝ નથી ઈચ્છતું. કારણ કે પાકિસ્તાનને અત્યારે ઈરાન જેવા દેશ સાથે દુશ્મની પોસાય તેમ નથી. બીજું કે પાકિસ્તાની શિયા મુસલમાનો સરકાર સામે મોરચો માંડી શકે છે. પાકિસ્તાન એટલા માટે વચેટિયું બન્યું છે કારણ કે ઈરાન-ઈઝરાયલનું યુદ્ધ એટલી હદે ન વકરે કે પાકિસ્તાનને સાઉદીનો સાથ આપીને ઈરાન સામે લડવું પડે. જ્યારે પાકિસ્તાન પોતે આર્થિક દેવાળિયા અને અફઘાન કે ભારત સરહદ પર તણાવમાં ફસાયું છે ત્યારે તેનું મધ્યસ્થી બનીને પશ્ચિમી દેશોને વ્હાલું થવું અતિ મહત્વનું અને મજબૂરી બની ગયું છે. જો આ થયું તો ભારતનું ટેન્શન વધી શકે જો પાકિસ્તાન ઈરાન અને અમેરિકા વચ્ચે મિડલમેન બનવામાં સક્સેસફૂલ જાય તો ભારત માટે ગ્લોબલ લેવલે ટેન્શન વધી શકે છે. કેન્દ્ર સરકારે પોતાની ઈમેજને વિશ્વગુરુ તરીકે પોર્ટ્રેઈટ કરી છે, પણ વિશ્વ ગુરુની ઈમેજ વચ્ચે કંગાળિયું પાકિસ્તાન બાજી મારી ગયું છે. ભારતની વિદેશનીતિ પાકિસ્તાનને ગ્લોબલ લેવલે એકલું પાડવાની રહી છે. પણ જો પાકિસ્તાન અમેરિકા અને ઈરાન જેવા દેશો સામે મધ્યસ્થી કરે તો ભારતની ફોરેન પોલિસી માટે આ મોટો લાલ લીટો બની શકે છે. જો પાકિસ્તાન ઈરાન સાથે સ્ટ્રોંગ રિલેશન બનાવી લે તો તે ભવિષ્યમાં ઈરાન સરકારને ભારત સામે ઉશ્કેરી શકે છે અને જો આવું થાય તો આપણા મિડલ ઈસ્ટ ઈન્ટ્રેસ્ટ પર મોટી નેગેટિવ અસર થઈ શકે તેમ છે. જો પાકિસ્તાન મિડલમેનની ભૂમિકામાં સફળ સાબિત થાય તો અમેરિકાનો પાકિસ્તાની પ્રેમ ફરી જાગી શકે છે અને અમેરિકા જેવી મહાશક્તિ પાકિસ્તાનને ફરી ફાઈનાન્શિયલ કે લશ્કરી સપોર્ટ આપવાનું પણ વિચારી શકે છે. ટ્રમ્પના ફેવરિટ ફિલ્ડ માર્શન મુનીરે ટ્રમ્પને નોબલ પીસ પ્રાઈઝ માટે નોમિનેટ કરવાની વાત કરી હતી, આનાથી ટ્રમ્પને ખૂબ જ ગલગલિયાં થયા હતા. આ બધી વાતો આપણે ભૂલવી બિલકુલ ન જોઈએ. આટ આટલા ફાયદા સાથે એક મુદ્દો અહીં ચર્ચા કરવો બને જે છે કાશ્મીરનો મુદ્દો. આપણે જાણીએ છીએ કે આવું બધું પાકિસ્તાન મફતમાં નથી કરી રહ્યું. એક્સપર્ટ્સનું કહેવું છે કે પાકિસ્તાનને અમેરિકા પાસેથી કાશ્મીર મામલે છૂટછાટની પણ આશા અપેક્ષાઓ જાગી શકે છે. જો કે આપણે એટલે કે ભારતે કાશ્મીર મામલે ત્રીજા દેશની મધ્યસ્થીનો હંમેશા ઈનકાર કર્યો છે. કતાર અને ઓમાનની જગ્યાએ પાક.ને કેમ ચાન્સ? આ યુદ્ધમાં એક નવો ટ્રેન્ડ જોવા મળ્યો છે. હંમેશા કતાર અને ઓમાન મિડલમેન તરીકેની ભૂમિકામાં નજરે પડ્યા છે, પણ આ વખતે એવું નથી થયું. કારણ કે ઈરાને કતારના ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાઓ કર્યા છે, જેના કારણે કતાર અમેરિકાના પક્ષમાં આવી ગયું છે અને મધ્યસ્થ મટી ગયું છે. ઈરાને કતારમાં આવેલા અલ ઉદેદ એરબેઝ પર પણ હુમલો કર્યો હતો. એટલે પાકિસ્તાનની પરિસ્થિતિ ઉજ્જળ ગામમાં એરંડો પ્રધાન જેવી સ્થિતિ છે. પાકિસ્તાન પાસે ઈરાન સાથે 900 કિલોમીટરની જમીની સરહદ છે અને ઈરાન ઈસ્લામિક ભાઈનો પણ સંબંધ છે. પાકિસ્તાને ઈરાન પર કોઈ સૈન્ય કાર્યવાહીમાં ભાગ નથી લીધો જે પાકિસ્તાનને ઓમાન કે કતાર કરતા વધુ ન્યુટ્રલ બનાવે છે. જો કે પાકિસ્તાન સિવાય આ યુદ્ધ પૂરું કરાવવા માટે તુર્કી અને ઈજિપ્ત પણ પ્રયાસો કરી રહ્યા છે, પણ પાકિસ્તાન પાસે જેવો ટ્રમ્પનો એક્સેસ છે તેવો તુર્કી કે ઈજિપ્તનો નથી. પાકિસ્તાન મધ્યસ્થીમાં સફળ જશે તો? એકવાત આપણે અહીં ધ્યાને લેવી જોઈએ કે જો પાકિસ્તાન મધ્યસ્થીમાં સફળ જાય તો ભલે આપણને ડિપ્લોમેટિક નુકસાન થાય પણ એક રીતે પૂરી દુનિયા ઈચ્છે છે કે ઈરાન-ઈઝરાયલ યુદ્ધ પૂરું થાય. આપણે પણ 80 ટકાથી વધુ તેલ-ગેસ હોર્મુઝ મારફતે મગાવીએ છીએ. જો યુદ્ધ લાંબુ ચાલે અને તેલ ગેસનો સપ્લાય રોકાય તો આપણે ત્યાં પણ મોંઘવારી આવતા વાર નહીં લાગે. નવી દિલ્લી અત્યારે વેઈટ એન્ડ વોચની સિચ્યુએશનમાં છે. પાકિસ્તાનની મધ્યસ્થી સફળ રહે તો નવી દિલ્લી ક્યારેય જાહેરમાં પાકિસ્તાનની વાહવાહી નહીં કરે પણ યુદ્ધ પૂરું થવાનો આકડકતો આર્થિક ફાયદો આપણને થશે તે નક્કી જ છે. મધ્યસ્થીની પળેપળની વિગત પર મુનીરની નજર એવી વાતો થઈ રહી છે કે બે દિવસ બાદ એટલે કે 27 માર્ચ 2026ના રોજ ઈસ્લામાબાદની સેરેના હોટલમાં મધ્યસ્થીની મીટિંગ થઈ શકે છે. આ હાઈપ્રોફાઈલ મીટિંગના કારણે પાકિસ્તાન સેનાએ આ વિસ્તારને રેડઝોન બનાવી દીધો છે. જો આ મીટિંગ થાય તો પાકિસ્તાન માત્ર યજમાન નહીં હોય પણ ટેબલ પર ગેરંટર તરીકે બેસશે. કારણ કે અગાઉ આપણે વાત કરી હતી કે અમેરિકાએ ઈરાનને ન્યૂક્લિયર શક્તિઓ ત્યાગ કરવા હાલક કરી છે પણ ઈરાનને બીક છે કે જો ઈઝરાયલ ફરી હુમલો કરે તો તકલીફ પડી શકે તેમ છે. સામેની બાજ પાકિસ્તાને કહ્યું છે કે ઈરાન પણ ઈઝરાયલ પર હુમલો ન કરે અને હિઝબુલ્લાહ જેવા તેમના પ્રોક્સી ગ્રુપ્સ શાંત રહે તેના માટે ઈરાન પર ગ્રાઉન્ડ લેવલનું વેરિફિકેશન કરશે અને અમેરિકાને પળેપળની માહિતી આપશે. ઈરાન ન્યૂક્લિયર જીદ છોડે અને ઈઝરાયલ તેના પર ફરી હુમલો ન કરે તેની જ જવાબદારી માટે પાકિસ્તાન ગેરંટર બનવા જઈ રહ્યું છે. કહેવાય છે કે ફિલ્ડ માર્શલ અસીમ મુનીરની આ વાટાઘાટો પર સીધી નજર છે. ઈન્ટરનેશનલ મીડિયામાં એવી વાતો પણ ચાલી રહી છે કે ઈરાન રશિયા કે ચીનના તાબામાં ન આવે તેની જવાબદારી પણ પાકિસ્તાને લીધી છે. અમેરિકા સાથે વાત કરવા તૈયાર! પણ લોકો? પણ પાકિસ્તાન માટે આ મીટિંગ આસાન નહીં હોય, કારણ કે માર્ચ મહિનાની શરૂઆતમાં પાકિસ્તાની નાગરિકોએ યુદ્ધ બાદ અમેરિકાનો વિરોધ કરવા કરાચીમાં યુએસ કોન્સ્યુલેટ પર હુમલો કર્યો હતો જેમાં 10 લોકોના મોત થયા હતા. આ મોતના કારણે જ લોકોમાં અમેરિકા વિરોધી લાગણી ચરમસીમા પર છે. આ સિવાય પાકિસ્તાની શિયા કોમ્યુનિટી પાકિસ્તાની સરકાર પર દબાણ લાવવાની ટ્રાય કરી રહ્યું છે કે પાકિસ્તાન ઈરાનનો પક્ષ છોડીને પૂરી રીતે અમેરિકાના ખોળામાં ન બેસી જાય. પણ પાકિસ્તાની લોકો માટે આ મીટિંગ થાય તેની સારી વાત એ છે જે તેલ અને ગેસના ભાવ આસમાને છે તે ફરી ધડામ થઈને નીચે આવી શકે તેમ છે. જો પાકિસ્તાન મીડલ મેનની ભૂમિકામાં સક્સેસફૂલ રહે તો ભવિષ્યમાં ઘણા ફેરફારો આપણને જોવા મળી શકે છે જેમ કે, પાકિસ્તાન આતંકવાદીમાંથી શાંતિદૂત? પાકિસ્તાન આ મધ્યસ્થી ખાલી શાંતિ માટે જ નથી કરતું પણ તેને પોતાની દાગથી અને લોહીથી ભરેલી છબી પણ સુધારવી છે. હમણા જ પાકિસ્તાને અફઘાનિસ્તાનના કાબુલના એક ડ્રગ રિહેબિલિટેશન સેન્ટર પર બોમ્બમારો કર્યો હતો, આ હુમલામાં અફઘાનિસ્તાનમાં 400 નિર્દોષોના મોત થતા દુનિયાએ પાકિસ્તાનને ભારે ફટકાર લગાવી હતી. જો મંત્રણા સફળ રહે તો જેમ ગંગામાં ડૂબકી લગાવ્યા પછી દાગ ધોવાય તેમ દુનિયા અમેરિકાએ 400 નિર્દોષોના જીવ લીધા તે પણ ભૂલી શકે તેમ છે. મધ્યસ્થીમાં ઈઝરાયલનું કેમ નામ નથી? હવે સૌથી ભયાનક વાત કરીએ. આપણે આટલી વાત કરી એમાં ઈઝરાયલનો કોઈ ઉલ્લેખ નથી. સવાલ થાય કેમ? તો વાત જાણે એમ છે કે પાકિસ્તાન સીધું ઈઝરાયલ સાથે વાત નથી કરતું તે અમેરિકા સાથે વાત કરે છે અને અમેરિકા ઈઝરાયલ સાથે. અમેરિકા ઈઝરાયલની વાત રાખશે અને પાકિસ્તાન ઈરાનની. પાકિસ્તાનની મીટિંગમાં પણ ઈઝરાયલી અધિકારીઓ હાજર નહીં હોય, એવી વાત છે કે ઈઝરાયલી સ્પાય એજન્સી મોસાદે પાકિસ્તાનની મધ્યસ્થી પર બાજ નજર છે. જો પાકિસ્તાન ઈરાનને ન્યુક્લિયર પ્રોગ્રામ અટકાવવા મનાવી લે, તો ઈઝરાયેલ તેને છૂપી રીતે આવકારશે. અને તેનાથી પણ ખતરનાક વાત એ છે કે પાકિસ્તાન ઈઝરાયલને એક દેશ નથી માનતું. અને છેલ્લે... આ પાકિસ્તાનની પહેલી મધ્યસ્થી નથી. 1971માં પાકિસ્તાને અમેરિકા અને ચીન વચ્ચે સિક્રેટ મિડલમેન તરીકે કામ કર્યું હતું. પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ યાહ્યા ખાને વચેટિયાની ભૂમિકા ભજવી અમેરિકાના રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સન અને ચીનના ઝાઉ એનલાઈ વચ્ચે સિક્રેટ મેસેજીસ શેર કર્યા હતા. આ મધ્યસ્થીનું નામ હતું ઓપરેશન માર્કો પોલો. જેમાં હેનરી કિસિંજરે ઈસ્લામાબાદથી PIAના વિમાનમાં છૂપી રીતે બેજિંગની મુસાફરી કરી હતી. આવું એટલે શક્ય બન્યું કારણ કે પાકિસ્તાનની ચીન અને અમેરિકા બંને સાથે દોસ્તી છે. જો કે આ મધ્યસ્થીના કારણે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં અમેરિકાએ પાકિસ્તાનની સાઈડ લીધી હતી. સોમવારથી શુક્રવાર રોજ રાત્રે 8 વાગે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 7:55 pm

પ્રાંતિજના દલપુરમાં હેક્ઝોન ઇન્ટરકેમમાં મોકડ્રિલ:ગેસ ગળતર અને આગની ઘટનામાં તંત્રની સજ્જતા ચકાસાઈ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના દલપુર ગામ પાસે આવેલી હેક્ઝોન ઇન્ટરકેમ પ્રાઇવેટ લિમિટેડ ખાતે આજે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયતનો મુખ્ય હેતુ ઉદ્યોગોમાં અકસ્માત કે કટોકટીના સમયે વહીવટી તંત્ર અને કંપનીના સુરક્ષા એકમોની કાર્યક્ષમતા અને સજ્જતા ચકાસવાનો હતો. આ મોકડ્રિલમાં પ્લાન્ટમાં મિથિલિન ઓક્સાઈડ ગેસ ગળતર સાથે આગ લાગવાની કાલ્પનિક ઘટના ઊભી કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ કંપનીના ઇમરજન્સી એલાર્મ વાગી ઉઠ્યા હતા અને તમામ કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તંત્ર, ફાયર બ્રિગેડની ટીમો અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર ફાઇટરો દ્વારા ગેસ ગળતર પર કાબૂ મેળવવા અને આગને બુઝાવવા માટે અદ્યતન સાધનોનો ઉપયોગ કરી સફળ કામગીરી કરવામાં આવી હતી. ડ્રિલ દરમિયાન કાલ્પનિક રીતે ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડવાની પ્રક્રિયાનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રિલમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ અને કંપનીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ મોકડ્રિલના અંતે કામગીરીનું મૂલ્યાંકન કર્યું હતું અને કટોકટીના સમયે પ્રતિસાદ આપવાનો સમય ઘટાડવા તેમજ સુરક્ષાના પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવા જરૂરી સૂચનો આપ્યા હતા. નેશનલ હાઈવે પર કાટવાડ પાટિયા સામે આવેલા આ ઔદ્યોગિક એકમમાં યોજાયેલી ડ્રિલથી આસપાસના વિસ્તારમાં સુરક્ષા પ્રત્યે જાગૃતિ ફેલાઈ હતી. આ પ્રસંગે DISH ફેક્ટરી ઇન્સ્પેક્ટર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખાના અધિકારી, હિંમતનગર અને પ્રાંતિજ મામલતદાર, જીપીસીબીના અધિકારી, 108 ઇમર્જન્સી સેવા ટીમ, ફાયર બ્રિગેડ ટીમ, પોલીસ તેમજ સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 7:48 pm

રામનવમી પૂર્વે નવસારી-બીલીમોરામાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ:સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ, સુરક્ષા વ્યવસ્થા કડક

આવતીકાલે રામનવમીનો પવિત્ર તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવાશે. આ તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા નવસારી પોલીસ સતર્ક બની છે. જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલના નિર્દેશન હેઠળ, આજે નવસારી શહેર અને બીલીમોરામાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફૂટ પેટ્રોલિંગમાં DYSP સંજય રાય અને ભગીરથસિંહ ગોહિલે આગેવાની લીધી હતી. નવસારી એ ડિવિઝન હેઠળના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ અને પોલીસ કર્મચારીઓ પણ આમાં જોડાયા હતા. શહેરના મોટાભાગના વિસ્તારોમાં પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. ખાસ કરીને, નવસારી શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કાઢવામાં આવી હતી. આ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચમાં 5 ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને અંદાજે 100 જેટલા પોલીસ કર્મચારીઓ સામેલ થયા હતા. DYSP ભગીરથસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરાયું છે. લોકોમાં સુરક્ષાની ભાવના જાગે અને અસામાજિક તત્વોમાં પોલીસનો ડર રહે તે હેતુથી સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 7:45 pm

પાટણ પોલીસ દ્વારા રથયાત્રા રૂટ પર ફૂટ પેટ્રોલિંગ:સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી, અધિકારીઓ જોડાયા

પાટણ શહેરમાં ગુરુવારે નીકળનારી ભગવાન શ્રીરામની 39મી રથયાત્રાને લઈને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સજ્જ બન્યું છે. રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા ભક્તો ઉત્સાહપૂર્વક દર્શન કરી શકે તે હેતુથી પોલીસે વિશેષ આયોજન કર્યું છે. આજરોજ રામજી મંદિર ખાતેથી પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓના નેતૃત્વમાં રથયાત્રાના નિર્ધારિત રૂટ પર ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. આ પેટ્રોલિંગમાં ડીવાયએસપી કે.કે. પંડ્યા, એલસીબી પીઆઈ રાકેશ ઉનાગર અને એ-ડિવિઝન પીઆઈ કમલેશભાઈ ભોંય સહિતનો પોલીસ કાફલો જોડાયો હતો. પોલીસ કાફલાએ રથયાત્રા જે માર્ગો પરથી પસાર થવાની છે તેનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. રથયાત્રાના માર્ગમાં આવતા નડતરરૂપ દબાણોને તાત્કાલિક અસરથી હટાવવા માટે સંબંધિત લોકોને કડક સૂચનાઓ આપવામાં આવી હતી, જેથી રથયાત્રાના વહેણમાં કોઈ અવરોધ ન આવે. એકસાથે પોલીસ જવાનો અને વાહનોના કાફલાને માર્ગો પર ઉતરેલો જોઈ શહેરના નાગરિકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું અને સુરક્ષા પ્રત્યે વિશ્વાસ વધ્યો હતો. પાટણ પોલીસે રથયાત્રા શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 7:44 pm

ભરૂચમાં રામનવમી પૂર્વે પોલીસની ફ્લેગ માર્ચ:સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ જાળવવા પેટ્રોલિંગ કરાયું

ભરૂચ શહેરમાં રામનવમી પૂર્વે એ ડિવિઝન પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ યોજ્યું હતું. તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે સુનિશ્ચિત કરવા પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. શહેરના ડીવાયએસપી સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ આ ફ્લેગ માર્ચ યોજાયો હતો, જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સ્ટાફ જોડાયા હતા. ફ્લેગ માર્ચ એ ડિવિઝન વિસ્તારના સોનેરી મહેલથી શરૂ થઈ લલ્લુભાઈ ચકલા, હાજીખાના, ઊંડાઈ, ધોળીકુઈ માર્ગે કસક ગરનાળા સુધી પહોંચ્યો હતો. રામનવમીની શોભાયાત્રાના રૂટ પર વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ ફ્લેગ માર્ચમાં એ ડિવિઝન પીઆઈ આર.એમ. વસાવા, સેકન્ડ પીઆઈ ડી.એ. ક્રિશ્ચિયન સહિત પીએસઆઈ અને પોલીસ કર્મીઓ સામેલ હતા. પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. પોલીસ તંત્રના આ પ્રયાસોથી શહેરમાં રામનવમીનો તહેવાર શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાશે તેવી અપેક્ષા છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 7:42 pm

વડોદરામાં 1.75 લાખ ગ્રાહકોના ઘરે સ્માર્ટ મીટર લગાવાયા:MGVCLનો 2026ના અંત સુધીમાં 8.20 લાખ વીજ ગ્રાહકોને આવરી લેવાનો લક્ષ્યાંક

વડોદરા શહેરમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી દરમિયાન અવારનવાર વિરોધ વચ્ચે પણ મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL) એ તેની કામગીરી ચાલુ રાખી છે. અત્યાર સુધીમાં MGVCLએ શહેરમાં અંદાજે 1.75 લાખ સ્માર્ટ મીટર લગાવી દીધા છે. શહેરમાં કુલ 8.20 લાખ વીજ ગ્રાહકો છે, જેમાંથી મોટા ભાગના ગ્રાહકોને સમજાવીને અને સમજૂતી આપીને જ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં સરકારી તમામ કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે. કંપનીનું આયોજન છે કે આ વર્ષના અંત સુધીમાં શહેરના તમામ વીજ ગ્રાહકોને સ્માર્ટ મીટરથી સજ્જ કરી દેવામાં તેવું આયોજન છે. જો કે, આ કામગીરી દરમિયાન અનેક વિસ્તારોમાં ગ્રાહકો તરફથી વિરોધ થઈ રહ્યો છે. વીજ વપરાશનું વધુ ચોક્કસ મોનિટરિંગ થશેશહેરમાં કેટલાક ગ્રાહકોને અચાનક ઊંચા બિલ આવવા અને અન્ય તકલીફોની ફરિયાદો સામે આવી છે. MGVCLના અધિકારીઓનું કહેવું છે કે, સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે અને તેનાથી વીજ વપરાશનું વધુ ચોક્કસ મોનિટરિંગ થશે. 2026ના અંત સુધીમાં તમામ ગ્રાહકોને આવરી લેવાનો લક્ષ્યાંકઆ અંગે સુપ્રીટેન્ડિંગ એન્જિનિયર પી એન થાનાવાલાએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં 8.20 લાખ ગ્રાહકો છે. અને પોણા બે લાખ જેટલા ગ્રાહકોના સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. આ સ્માર્ટ મીટર એડવાન્સ ટેકનોલોજી વાળા છે, જેમાં ડેટા યોગ્ય રીતે જોઈ શકાય છે. ઘણીવાર ગ્રાહકોને નવા સ્માર્ટ મીટરને લઈ અસંતોષ હોય છે, તેવા ગ્રાહકોને અમે બાજુમાં અન્ય ચેક મીટર લગાવતા હોઈએ છે. અમારો ટાર્ગેટ રહેશે કે વર્ષ 2026 ના અંત સુધીમાં બધાજ ગ્રાહકોને સ્માર્ટ મીટર લાગી જાય. ગ્રાહકોને જાગૃતતા લાવીને લગાવીએ છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 7:34 pm

રામનવમી પર્વને લઈ મહીસાગર પોલીસ સતર્ક:જિલ્લા પોલીસ વડાએ આયોજક સમિતિઓ સાથે સમીક્ષા બેઠક યોજી

આગામી રામનવમી પર્વને ધ્યાનમાં રાખીને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં થાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ વડા સફીન હસન અને જિલ્લા પોલીસ દ્વારા આયોજક સમિતિઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં મહીસાગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રામનવમીની ઉજવણી કરતા આયોજકોને માર્ગદર્શન અપાયું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તહેવાર દરમિયાન કાયદાકીય નિયમોનું પાલન કરીને યોજવામાં આવે તેવું જણાવ્યું હતું. પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ખાસ પેટ્રોલિંગ, બંદોબસ્ત અને સઘન નિરીક્ષણની કામગીરી હાથ ધરવામાં આવશે. તહેવાર દરમિયાન લોકોમાં સૌહાર્દ અને એકતા જળવાઈ રહે તે માટે પણ અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 7:29 pm

12 પાસ રાજસ્થાનનો રીઢો ગુનેગાર 7.50 લાખના MD-ડ્રગ્સ સાથે ઝડપાયો:રાજસ્થાની જેલમાંથી છૂટ્યાના 9મા દિવસે જ ફરી સુરતમાં ઝેર ફેલાવવા પહોંચ્યો ને દબોચાયો

સુરત રેલ્વે સ્ટેશન નજીક આવેલા આયુર્વેદિક ગરનાળા પાસેથી રાજસ્થાનના એક રીઢા ડ્રગ્સ પેડલરને 250 ગ્રામથી વધુના મેફેડ્રોન ડ્રગ્સ સાથે દબોચી લેવામાં આવ્યો છે. પકડાયેલો આરોપી માત્ર 9 દિવસ પહેલા જ રાજસ્થાનની જેલમાંથી જામીન પર બહાર આવ્યો હતો અને ફરીથી ડ્રગ્સના રવાડે ચઢી સુરતમાં ઝેર ફેલાવવા પહોંચ્યો હતો. ક્રાઈમ બ્રાંચે કુલ 7.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનના ડ્રગ્સ નેટવર્કને તોડવા તપાસ તેજ કરી છે. આયુર્વેદિક ગરનાળા પાસે વોચ ગોઠવીને ડ્રગ્સ સાથે દબોચ્યોસુરત ક્રાઈમ બ્રાંચના ઉચ્ચ અધિકારીઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે, રાજસ્થાનના બાલોતરાનો વતની નરેન્દ્ર પ્રહલાદરામ ડારા મોટા પ્રમાણમાં એમ.ડી. ડ્રગ્સનો જથ્થો લઈને સુરત રેલ્વે સ્ટેશન વિસ્તારમાં કોઈને ડિલિવરી આપવા આવવાનો છે. બાતમીની ગંભીરતાને જોતા પી.આઈ. અને તેમની ટીમે આયુર્વેદિક ગરનાળા પાસે વોચ ગોઠવી હતી. જેવો શખ્સ શંકાસ્પદ હાલતમાં ત્યાં દેખાયો, પોલીસે તેને ઘેરી લીધો હતો. તેની જડતી લેતા તેની પાસેથી લાખોની કિંમતનું ડ્રગ્સ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. રાજસ્થાનનું ડ્રગ્સ કનેક્શન સામે આવ્યું પકડાયેલો આરોપી નરેન્દ્ર ઉર્ફે નરેશ ડારા મૂળ રાજસ્થાનના બાલોતરા જિલ્લાના સાકરળાબેરા ગામનો રહેવાસી છે. પ્રાથમિક પૂછપરછમાં તેણે કબૂલાત કરી છે કે તે આ માદક પદાર્થનો જથ્થો રાજસ્થાનના જ એક અજ્ઞાત ઇસમ પાસેથી લાવ્યો હતો. સુરત પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે રાજસ્થાનમાં બેસીને આ ડ્રગ્સનું રેકેટ કોણ ચલાવી રહ્યું છે. સરહદી રાજ્ય હોવાથી રાજસ્થાનથી આવતા ડ્રગ્સના રૂટ પર હવે સુરત પોલીસની ખાસ નજર છે. જેલમાંથી છૂટ્યાના 9માં દિવસે જ ફરી ગુનાખોરીઆ કેસમાં સૌથી ચોંકાવનારી વિગત એ છે કે આરોપી નરેન્દ્ર રીઢો ગુનેગાર છે. ગત જુલાઈ 2024માં તે રાજસ્થાનના સાયલા પોલીસ સ્ટેશનમાં 45 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે પકડાયો હતો. આ ગુનામાં તે લાંબો સમય જેલમાં રહ્યો અને હજુ હમણાં જ એટલે કે 16 માર્ચ 2026ના રોજ જામીન પર મુક્ત થયો હતો. જેલમાંથી બહાર આવ્યાના ગણતરીના દિવસોમાં જ તેણે સુરતને ટાર્ગેટ બનાવી ફરીથી ડ્રગ્સની હેરાફેરી શરૂ કરી દીધી હતી. ધો. 12 પાસ બેરોજગારનો કાળો કારોબારપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, 23 વર્ષીય આરોપી નરેન્દ્રએ ધોરણ-12 સુધી અભ્યાસ કર્યો છે. ટૂંકા સમયમાં વધુ પૈસા કમાવવાની લાલચે તે ડ્રગ્સ માફિયાઓના સંપર્કમાં આવ્યો હતો. રાજસ્થાનના બિષ્નોઈ પંથક સાથે સંકળાયેલો આ યુવાન હવે ડ્રગ્સ સપ્લાય ચેઈનની મહત્વની કડી સાબિત થઈ રહ્યો છે. પોલીસ તેના મોબાઈલ કોલ ડિટેલ્સના આધારે સુરતમાં તે કોને માલ આપવાનો હતો તેની વિગતો એકઠી કરી રહી છે. 7.72 લાખનો મુદ્દામાલ કબજે કરાયોક્રાઈમ બ્રાંચે આ ઓપરેશન દરમિયાન આરોપી પાસેથી જે ચીજવસ્તુઓ જપ્ત કરી છે. એમ.ડી. ડ્રગ્સ: 250.310 ગ્રામ (કિંમત 7,50,930/-), રોકડ રકમ: 1,535 જપ્ત કરાયો છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 7:27 pm

સત્તાનો દુરુપયોગ કરી 1.55 કરોડની લૂંટ:ધામતવાણની પૂર્વ સરપંચ અને તલાટી વિરુદ્ધ ACBની કાર્યવાહી, ભાજપ કાર્યકરની પત્ની પર ગંભીર આરોપ

અમદાવાદના દસક્રોઈ જિલ્લાના ધામતવાણ ગામના ભાજપના કાર્યકરના પત્ની એવા પૂર્વ મહિલા સરપંચ અને પૂર્વ તલાટી કમ મંત્રી વિરુદ્ધ સત્તાના પોતાના દુરુપયોગ બદલ રૂ.1.55 કરોડની ગેરરીતી મામલે એસીબી દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 7:20 pm

'મે રાજીનામુ આપ્યું જ નથી, કદાચ એ વોટ્સએપ પર હતું':પત્રકાર પરિષદ યોજી વડોદરાના AAP પ્રમુખે ફેરવી તોળ્યું, કહ્યું- 'કાર્યકરોની નારાજગી એ પાર્ટીની આંતરિક વાત છે'

આમ આદમી પાર્ટીની પ્રથમ યાદી જાહેર થઇ ગયા પછી વડોદરામાં ભડકો જોવા મળ્યો હતો. ખુદ શહેર પ્રમુખે રાજીનામુ આપ્યું હોવાની વાતો સામે આવી હતી. આ ઉપરાંત અનેક કાર્યકરોએ પણ કાર્યાલયની બહાર જ ખેસ લટકાવી વિરોધ નોંધાવ્યો હતો. દરમિયાન આજે અચાનક આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ પ્રગટ થયા હતા અને મેં કોઈ રાજીનામુ આપ્યું નથી, કદાચ વોટ્સએપ એ પર હતું ને આવી ગયું હશે એમ જણાવ્યું હતું. કાર્યકરોની નારાજગી એ પાર્ટીની અંદરની વાત છેઆમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અશોક ઓઝાએ આમ આદમી પાર્ટીની પ્રથમ યાદી જાહેર થયા બાદ રાજીનામુ ધરી દીધું હતું. જોકે, આ વાતનું ખંડન કરવા તેઓ આજે પ્રગટ થયા હતા. તેઓએ પત્રકાર પરિષદ યોજી હતી અને કોઈને ગળે ન ઉતરે એવી વાત કહી હતી. તેઓએ કહ્યું હતું કે, મેં રાજીનામુ આપ્યું નથી. સંજોગોવસાત કદાચ વોટ્સએપ પર હતું અને ત્યાંથી આવી ગયું હશે અથવા તો લખાઈ ગયું હશે. મારા કાર્યકરોએ પણ રાજીનામુ આપ્યું નથી. ત્યારબાદ તરત જ તેઓએ કહ્યું કે, તેઓએ રાજીનામુ આપ્યું હશે તો તેઓની અંગત નારાજગી હશે પરંતુ, એમને અમે માનવી લીધા છે. કાર્યકરોની નારાજગી એ પાર્ટીની આંતરિક વાત છે. યાદી જાહેર થયા બાદ પ્રમુખ ગાયબ હતાયાદી જાહેર થયા બાદ પ્રમુખે રાજીનામુ આપ્યાની વાત સામે આવતા તેઓનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરાયો હતો જો કે તેઓએ ફોન ઊંચકવાની તસ્દી આપી ન હતી. તેઓના રાજીનામાની વાતનું સમર્થન ખુદ તેઓના જ પાર્ટીના અગ્રીમ હરોળના આગેવાનોએ આપ્યું હતું. ત્યારે કદાચ મોવડી મંડળ દ્વારા તેઓને માનવી લેવામાં આવ્યા હશે અને તેથી તેઓ આજે તમામ ઉમેદવારો સાથે મીડિયા સામે પ્રગટ થયા હતા. મહાનગરપાલિકામાં અમારા મેયર બનશેઆમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાએ દાવો કર્યો હતો કે, અમે આ વખતે મહાનગરપાલિકામાં 50થી 55 બેઠકો જંગી બહુમતીથી જીતીશું અને અમારા મેયર બનાવીશું. અમારા તમામ કાર્યકરો ઘણા વર્ષોથી પાર્ટી સાથે જોડાયેલા છે અને તેઓ આ વખતે પોતાના વિસ્તારમાં જંગી મતોથી જીતશે. હજુ બીજી યાદી જાહેર થશે તેમાં બાકીના કાર્યકરોનો સમાવેશ કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 7:17 pm

ગોધરામાં સોનીવાડની દુકાનમાંથી 3 લાખના સોનાના દાગીનાની ચોરી:ગ્રાહક બની આવેલો શખ્સ દાગીના ચોરી ફરાર, CCTV સામે આવ્યાં

ગોધરા શહેરના સોનીવાડ વિસ્તારમાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. ગ્રાહકના સ્વાંગમાં આવેલો એક અજાણ્યો શખ્સ દુકાનદારની નજર ચૂકવીને આશરે ₹3 લાખના સોનાના દાગીના લઈને ફરાર થઈ ગયો હતો. આ ઘટના 23 માર્ચના રોજ સાંજના સમયે માં કૃપા જ્વેલર્સ નામની દુકાનમાં બની હતી. અજાણ્યા શખ્સે દુકાનદાર હરીશ સોનીને સોનાની બુટ્ટીઓ બતાવવા કહ્યું હતું. દુકાનદાર બુટ્ટીઓ બતાવવામાં વ્યસ્ત હતા તે દરમિયાન, આ શખ્સે તકનો લાભ ઉઠાવીને આશરે 15 થી 20 ગ્રામ વજનની 5 થી 7 જેટલી સોનાની કડીઓ પોતાના ખિસ્સામાં સરકાવી લીધી હતી. ચોરી કર્યા બાદ તેણે પોતાની પત્નીને લઈને પાછા આવવાનું કહીને દુકાનમાંથી નીકળી ગયો હતો. થોડીવાર બાદ, દુકાનદાર હરીશ સોનીએ દાગીનાનો ડબ્બો તપાસતા સોનાની કડીઓ ગાયબ હોવાનું માલુમ પડ્યું હતું. તેમણે તરત જ દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા, જેમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલો શખ્સ દાગીના ખિસ્સામાં નાખતો સ્પષ્ટ દેખાયો હતો. આ બનાવ અંગે દુકાનદાર હરીશ સોનીએ ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ લેખિત અરજી આપી છે. પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરી તેને ઝડપવા પ્રયાસો શરૂ કર્યા છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 7:09 pm

પેટ્રોલપંપમાં બાઈક-ફોરવ્હીલ માટે અલગ લાઇન મુદ્દે વિવાદ:પેટ્રોલ પંપના કર્મચારીઓએ પેટ્રોલ પુરાવા ગયેલ આધેડને ઢીકાપાટુ તેમજ લાકડીથી માર માર્યો

ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં પેટ્રોલ પંપ પર બાઈક અને ફોરવ્હીલ વાહનો માટે અલગ લાઇનમાં ઉભા રહેવા બાબતે થયેલી બોલાચાલી બાદ વિવાદ ઉગ્ર બની મારામારીમાં ફેરવાયો હતો, જેમાં બાઈકમાં પેટ્રોલ પૂરાવવા ગયેલા આધેડ પર પંપના કર્મચારીઓએ ગાળો આપી ઢીકાપાટુ તેમજ લાકડીથી માર માર્યો હતો. આ ઘટનાના પગલે ભરતનગર પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આધેડ બપોરના સમયે પેટ્રોલ પુરાવવા પેટ્રોલ પંપે ગયા હતાઆ બનાવ અંગે ભરતનગર પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ કૌશલ્ય પાર્કના રહેવાસી પ્રવીણસિંહ દિલુભા જાડેજા ઉ.વ 59 એ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ બપોરના સમયે પોતાની શાઇન બાઈક નં. GJ-04-FB-9379 માં પેટ્રોલ પૂરાવવા રીંગરોડ સ્થિત નાયરા પેટ્રોલ પંપે ગયા હતા, જ્યાં લાઇનમાં ઉભા રહેતા પંપ પર કામ કરતા અબ્બાસભાઈએ તેમને બીજી લાઇનમાં જવા કહ્યું હતું. મેનેજરને ફરિયાદ કરવા જતા ગાળો આપી ઢીકાપાટુ તથા લાકડીથી માર માર્યો હતોઆ મુદ્દે થયેલી બોલાચાલી બાદ આધેડ પ્રવીણસિંહ મેનેજરને ફરિયાદ કરવા જતા અબ્બાસભાઈએ ગાળો આપી ઢીકાપાટુ તથા લાકડીથી માર માર્યો હતો. ત્યારબાદ અન્ય ત્રણ કર્મચારીઓ પણ જોડાઈ તેમને માર માર્યો હતો. આ દરમિયાન એક શખ્સે હાથમાં કડું પહેરલ હતું તેને મોબાઇલ અને બાઈકની ચાવી છીનવી લીધી હતી, જે બાદમાં પરત અપાઈ હતી. આ બનાવ દરમિયાન આધેડ પ્રવીણસિંહે ભત્રીજાને બોલાવી 112 પર કોલ કરતા પોલીસ પહોંચી હતી અને તમામને ભરતનગર પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા, જે ફરિયાદના અનુસંધાને ભરતનગર પોલીસે જયરાજ સુરેશભાઈ પરમાર, હાર્દિક ભીમભાઈ આલગોતર, જલદીપ પીયૂષભાઈ પરમાર, અબ્બાસ સામે BNS કલમ 115(2), 352, 54 તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 7:03 pm

13.60 લાખની છેતરપિંડી કરનાર વલસાડનો ઠગ ઝડપાયો:કેશોદની ઘનશ્યામ એન્ટરપ્રાઇઝ નામની પેઢીને વલસાડના વેપારીએ સિંગદાણાના સોદામાં છેતરી, જૂનાગઢના દલાલ મારફતે ઓળખાણ કરી

​કેશોદ શહેરમાં વેપારીઓને વિશ્વાસમાં લઈને છેતરપિંડી કરતી ટોળકી ફરી એકવાર સક્રિય થઈ હોય એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરની સિવિલ કોર્ટ પાછળ ફાગરી રોડ પર આવેલી 'ઘનશ્યામ એન્ટરપ્રાઇઝ' નામની પેઢી ધરાવતા મનસુખભાઈ પરસોત્તમભાઈ ધોળુ સાથે રૂપિયા 13,60,485ની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. વર્ષ 2015થી સિંગદાણા અને મગફળીના વ્યવસાય સાથે સંકળાયેલા મનસુખભાઈને વલસાડના એક કથિત મોટા વેપારીએ દલાલની ઓળખાણનો લાભ લઈ શીંગદાણાના સોદામાં લાખોનો આર્થિક ફટકો માર્યો છે. આ મામલે કેશોદ પોલીસે તપાસ તેજ કરી આરોપીને ટ્રાન્સફર વોરંટથી કસ્ટડીમાં લીધો છે. જૂનાગઢના બે દલાલો મારફતે આ સોદો નક્કી થયો હતોઆરોપી કિશન મનોજભાઈ સવસાણી જે વલસાડમાં 'મધુસૂદન ટ્રેડિંગ' ના નામે પેઢી ચલાવતો હોવાનું જણાવી વેપારીઓના સંપર્કમાં આવ્યો હતો. જૂનાગઢના ભાનુ બ્રોકર અને રાકેશભાઈ કારિયા નામના દલાલો મારફતે આ સોદો નક્કી થયો હતો. દલાલોએ ભરોસો આપ્યો હતો કે કિશન વલસાડનો મોટો કારખાનેદાર છે અને તેની સાથે વ્યવહાર કરવામાં કોઈ જોખમ નથી. આ વિશ્વાસના આધારે મનસુખભાઈએ દૈનિક બજાર ભાવ મુજબ કુલ 13.60 લાખથી વધુની કિંમતના ખારી સિંગના દાણાનો માલ કિશનને મોકલી આપ્યો હતો. જોકે માલ મળ્યા બાદ આરોપીએ અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું હતું. કેશોદ સિવાય ગોંડલ-રાજકોટના વેપારીઓને પણ ચૂનો લગાડ્યો​માલની રકમ ચૂકવવા બાબતે જ્યારે મનસુખભાઈએ ઉઘરાણી શરૂ કરી ત્યારે આરોપી કિશન દ્વારા સતત વાયદાઓ કરવામાં આવતા હતા. 'આજે પેમેન્ટ થઈ જશે, કાલે ચોક્કસ મળી જશે' તેવા બહાના હેઠળ લાંબો સમય પસાર કર્યા બાદ આરોપીએ વેપારીનો ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. અંતે પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું સમજાતા મનસુખભાઈએ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ આરોપીએ માત્ર કેશોદ જ નહીં પરંતુ જૂનાગઢ, ગોંડલ, રાજકોટ અને જેતપુરના અન્ય અનેક વેપારીઓને પણ આ જ પધ્ધતિથી લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. કેશોદ પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે આરોપીની ધરપકડ કરી​આ ગંભીર છેતરપિંડી અંગે એસપી બી. સી. ઠક્કરે જણાવ્યું હતું કે, ગત 17 માર્ચ, 2024ના રોજ નોંધાયેલી આ ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં ખૂલ્યું હતું કે, આરોપી કિશન સવસાણી અગાઉ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના એક ગુનામાં પકડાયેલો હતો અને જેલમાં હતો. જેથી કેશોદ પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે તેનો જેલમાંથી કબજો મેળવી આ ગુનામાં તેની ધરપકડ કરી છે. હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ છેતરપિંડીમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને આરોપીએ અન્ય કયા કયા વેપારીઓને નિશાન બનાવ્યા છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 6:56 pm

કોંગ્રેસી નેતા હિંમતસિંહ પટેલના દીકરાની દારૂ કેસમાં ધરપકડ:અગાઉ પોલીસે સમાધાન કરી છોડી મૂક્યો હતો, આરોપીઓ પાસેથી હેરિયર ગાડી પણ કબ્જે કરી

અમદાવાદ શહેરના દૂધેશ્વર પાસે 22 માર્ચની રાતે કોંગ્રેસના નેતા હિંમતસિંહ પટેલનો દીકરો દારૂ પીધેલી હાલતમાં અને દારૂ સાથે ઝડપાયો હતો. જોકે, આરોપીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો પરંતુ, કોલ કરનાર વ્યક્તિએ સમાધાન કરતા પોલીસે આરોપીને દારૂના કેસમાં છોડી દીધો હતો. વીડિયોના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરીઆ ઘટનાનો બીજા દિવસે સવારે વીડિયો વાયરલ થયો હતો, જેમાં હિંમતસિંહ પટેલનો દીકરો યુવરાજ અને તેનો મિત્ર શ્રીકાંત તોમર દારૂ પીધેલી હાલતમાં હતા અને તેમની ગાડીમાં દારૂની બોટલ હતો. વીડિયો વાયરલ થયા બાદ માધવપુરા પોલીસે આ અંગે બે અલગ-અલગ ગુના નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી છે.પોલીસે આરોપીઓ પાસેથી હેરિયર ગાડી પણ કબ્જે કરી છે. નવરંગપુરા વિસ્તારમાં આવેલા નૈમેષ પાર્ક સોસાયટીમાં રહેતા 66 વર્ષીય અલકાબેન શાહે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં રજની પરડવા વિરૂદ્ધ ધમકીની ફરિયાદ કરી છે. અલકાબેન સંયુક્ત પરિવારમાં રહે છે અને આશ્રમ રોડ પર આવેલા પ્રીમિયમ હાઊસમાં સુપર લોજિસ્ટીક નામનથી શીપીગ કંપની ધરાવીને ધંધો કરે છે. અલકાબેનનું નવરંગપુરામાં આવેલા આરોન રેસીડેન્સીમાં બીજુ મકાન છે, જે વર્ષ 2013માં તેમના દીકરા વત્સલના નામે ખરીદ્યુ હતું. તારા દીકરાને સમજાવી દે જે મારી કોઈ બાબતમાં પડે નહીઆરોન રેસીડેન્સીના છ ફ્લેટમાં રજની પરડવા નામનો યુવક PG ચલાવી રહ્યો છે. બે દિવસ પહેલા મહિલા તેમની ઓફિસમાં હતી ત્યારે રજનીએ વોટ્સએપ કોલ કર્યો હતો અને કહ્યુ હતું કે, તારા દીકરાને સમજાવી દે જે મારી કોઈ બાબતમાં પડે નહી, તારા દિકરાને મારી મારીને છોતરા કાઢી નાખીશ. ગઈકાલે અલકાબેનના ઘરની પાસે રજની આવ્યો હતો અને ધમકી આપી હતી કે મારે વત્સલ જોડે પાંચ લાખ રૂપિયા લેવાના છે જે મને નહી આપો ત્યા સુધી હું રોજ આવીશ. રજનીએ બે દિવસથી ધમાલ મચાવતા વૃદ્ધ મહિલાએ પોલીસ ફરિયાદ કરી છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 6:49 pm

ભાભીને પિયર રિસામણેથી તેડવા જતા યુવાન પર હૂમલો:રાજકોટમાં મિત્રએ મિત્રને છરી મારી, 10% વ્યાજ ખંખેર્યા બાદ પણ યુવાનને વ્યાજખોરની ધાકધમકી

રાજકોટમાં રિસામણે ગયેલા ભાભીને તેડવાં ગયેલા યુવાન પર હૂમલો થયો હતો. થોરાળામાં રહેતો પ્રકાશ પરમાર ખીજડીયા ગામમાં રિસામણે ગયેલા ભાભીને તેડવા માટે ગયા હતા ત્યારે ભાઈના સસરા સહિતાનાએ બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને બાદમાં છરીનો ઘા માર્યો હતો. જેથી ઈજાગ્રસ્ત હાલતમાં તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, પ્રકાશ ભલાભાઈ પરમાર (ઉં.વ. 22, રહે.થોરળા, રાજકોટ) 24 માર્ચના રાત્રે 8 વાગ્યાની આસપાસ પોતે ખીજડીયા ગામમાં હેમંતભાઈ મોહનભાઈ રાઠોડના ઘરે હતો ત્યારે સામેવાળા હેમંતભાઈ, બળવંતભાઈ સહિતનાએ ઝઘડો કરી છરી વડે માર મારતા પીઠના ભાગે ઇજાઓ થઈ હતી. પ્રકાશે જણાવ્યું કે, તે આઇટીઆઇમાં અભ્યાસ કરે છે. તેના ભાઈ નીતિનભાઈના પત્ની જાનકીબેન રિસામણે તેના માવતર ખીજડીયા ગામે હતા. ગઇકાલે તેડી જવાનો ફોન આવતા નિતીનભાઈ ત્યાં ગયા હતાં. તેમના સાસુ-સસરા હાજર ન હોવાથી સાંજે આવવાનું કહ્યું હતુ. દરમિયાન પ્રકાશે પણ અગાઉ ખીજડીયા પ્રસંગ વખતે ગેસનો બાટલો આપ્યો હોય તે પરત લેવાનો હોય એટલે પ્રકાશ પણ ત્યાં પહોંચ્યો હતો. પ્રકાશ ત્યાં પહોંચ્યો પછી નીતિનભાઈ પણ આવ્યા. આ દરમ્યાન બોલાચાલી થઈ હતી અને હુમલો કર્યો હતો. સિવિલ હોસ્પિટલમાં દાખલ પ્રકાશનું નિવેદન લઈને કુવાડવા રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. અપશબ્દો બોલવા મામલે મિત્રે જ મિત્રને છરી મારી દીધી શહેરના ઓમનગર સર્કલ અને રાજદીપ સોસાયટીમાં મિત્રો વચ્ચે અગાઉ અપશબ્દ કહેવા બાબતે થયેલ બોલાચાલીમાં આનંદે દીક્ષિતને છરીના ઘા ઝીંક્યા હતા.મળતી માહિતી અનુસાર, દીક્ષિત જગદીશભાઈ ડીમલીયા (ઉં.વ.18, રહે. 40 ફૂટ રીંગ રોડ, ઓમનગર સર્કલ પાસે, રાજદીપ સોસાયટી) 24 માર્ચના રાત્રે 11 વાગ્યા આસપાસ પોતે ઘર પાસે હતો ત્યારે સામેવાળા આનંદે ઝઘડો કરીને છરી વડે માર મારતા ગંભીર ઈજા થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ અંગે પરિવારે જણાવ્યું કે, પિતા સેન્ટીંગ કામ કરે છે. આનંદ અને દીક્ષિત બંને મિત્રો હતા અગાઉ અપશબ્દો બોલવા અંગે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી આ પછી ગઈકાલે રાત્રે દીક્ષિત ઘર પાસે બેઠો હતો ત્યારે આનંદ આવ્યો હતો અને મને અગાઉ કેમ ગાળો આપતો હતો તેમ કહીને ઝઘડાની શરૂઆત કરી હતી. બંને વચ્ચે બોલાચાલી થતાં આનંદે પોતાના પાસે રહેલી છરી કાઢીને દીક્ષિતને મારી દીધી હતી. બનાવની જાણ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનને થતા પોલીસ ત્યાં દોડી ગઈ હતી. માતાની કેન્સરની બીમારી માટે વ્યાજે લીધેલા નાણા ચૂકવ્યા બાદ પણ યુવાનને ધમકી રાજકોટ શહેર પોલીસે વ્યાજખોરો સામે ફરિયાદ માટે જન સંપર્ક સભા કર્યા બાદ માત્ર એક વ્યાજખોર સામે ગૂનો નોંધાયો છે. માતાને કેન્સરની બીમારીના કારણે મજૂરી કામ કરતા પુત્રએ વ્યાજે રૂ.1 લાખ લીધા હતા. તેના બદલામાં રૂ.2.40 લાખ ચૂકવી દીધા બાદ પણ વ્યાજખોર શબ્બીર મશીયા પરેશાન કરતો હોવાથી તેની સામે ભક્તિનગર પોલીસ મથકમાં ગૂનો નોંધાયો છે. શહેરના બાબરીયા મેઈન રોડ પર મોરારીનગરમાં રહેતાં દીપકભાઈ કાનજીભાઈ પેઢડીયા (ઉ.વ.45) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે શબ્બીર મશીયા નામના શખ્સનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓને અટીકા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર શેરી નં.09 મા આવેલ ઇશ્વર વોચ ગ્લાસ નામના કારખાનામા મજુરી કરે છે.તેમની માતાને કેન્સરની બીમારીની સારવાર ચાલુ હોય જેથી 3 વર્ષ પહેલા તે પટેલનગર શેરી નં. 2 માં એચ.કે. મેટલ્સમા કામ કરતો હતો ત્યારે ત્યા સાથે કામ કરતા શબ્બીર મશીયાને મમ્મીની સારવાર માટે પૈસાની જરૂરીયાત છે તેમ વાત કરતા મીત્ર વ્યાજનુ કરે છે. હુ તેની પાસેથી પૈસા લઈ આપુ તેમ વાત કરી હતી. જે બાદ બીજા દીવસે શબ્બીરે રૂ. 1 લાખ રોકડા આપી કહ્યુ હતુ કે, તેણે આ પૈસા તેના મિત્ર પાસેથી લીધા છે અને આ પૈસાનુ દર મહીનાનુ 10 ટકા વ્યાજ મને આપવું પડશે. જે બાદથી દર મહીને એક લાખનુ 10 હજાર વ્યાજ ચુકવતો હતો. પરીસ્થીતી ખરાબ હોવા છતા આ શબ્બીર અવાર નવાર પરાણે વ્યાજના પૈસા માંગતા અને તેને બે વર્ષ સુધી માસીક રૂ. 10 હજાર લેખે કુલ રૂ.2.40 લાખ રોકડ તેમજ ગુગલ પે દ્વારા ચૂકવ્યા હતા. ત્યારબાદ પરિસ્થિતિ ખરાબ થઇ જતા વ્યાજ ચુકવી શકુ તેમ ન હોય જેથી વ્યાજ ચુકવવાનુ બંધ કરી દીધેલ હતુ. જેથી આરોપી અવાર નવાર વ્યાજ તથા મુડી મળી કુલ રૂ.3 લાખ ચુકવવા પડશે તેમ કહી ગાળો આપતો હતો. જે અંગે ગૂનો નોંધાતા ભક્તિનગર પોલીસે તપાસ શરૂ કરી છે. ઘર કંકાશથી કંટાળી યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત, 2 દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી રાજકોટની ભાગોળે આવેલા વિરડા વાજડી ગામે ધરારનગરમાં રહેતા રાજેશભાઈ વાલજીભાઈ મકવાણા (ઉં.વ. 30)એ ગઈકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી લીધી હતી. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો. હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ સહિતના એ તપાસ હાથ ધરી હતી.પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, રાજેશભાઈ પ્લમ્બિંગ કામ કરતા જતા. તેને સંતાનમાં બે દીકરી છે. ગઈકાલે તેઓએ પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. 108ના ઈએમટીએ સ્થળ ઉપર જ રાજેશભાઈને મૃત જાહેર કર્યા હતા. બનાવમાં કારણ જાણવા માટે પ્રયત્ન કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે, ઘર કંકાસ બાબતે પતિ અને પત્ની વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો. જે પછી રાજેશભાઈએ આ પગલું ભરી લીધું હતું. બે દીકરીઓએ પિતાની છત્ર છાયા ગુમાવતા પરિવારમાં આક્રંદ છવાયો હતો. પોલીસે કાગળ કાર્યવાહી કરીને મૃતદેહ પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પૈસા ન આપતા યુવાનને ધોકા - પાઇપ માર્યા રામાપીર ચોકડી રૈયાધાર રાણીમા રૂડીમા ચોક પાસે રહેતો મુકેશ અંબાભાઈ જખાણીયા (ઉં.વ. 25) ઘર પાસે આવેલા શૌચાલયે ગયો હતો ત્યારે સામેવાળા અજાણ્યા માણસોએ પૈસા માંગ્યા હતા. જે ન આપતાં ઝઘડો થયો હતો. બાદમાં ધોકા અને પાઇપ વડે માર મારતા માથે શરીરે ઈજા થઈ હતી. જેથી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો.બીજા બનાવમાં મોનુ મુસ્તાકભાઈ ખાન (ઉં.વ.25) રાત્રિના 1:00 વાગ્યાની આસપાસ ઉપરોક્ત સ્થળે સાઈબાબા સર્કલ પાસે હતો ત્યારે સામેવાળા અજાણ્યા માણસોએ કોઈ કારણોસર ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. તેને સિવિલમાં દાખલ કરાયો હતો.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 6:45 pm

હું ડિવોર્સી છું, મારો કોન્ટેક્ટ કરી દોઢ વર્ષ સંબંધ બાંધ્યા:મને વાઈફની જેમ ટ્રીટ કરતો, ત્રણ ટાઈમ ઘરે આવતો; થાઈલેન્ડ લઈ ગયો, શિક્ષિકાની પૂર્વ વિદ્યાર્થી સામે દુષ્કર્મની ફરિયાદ

રાજકોટમાં શિક્ષિકાએ તેના પૂર્વ વિદ્યાર્થી સામે લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. શિક્ષિકા વર્ષ 2012માં ધો.10ના જે વિદ્યાર્થીને ભણાવી રહી હતી, તે વિદ્યાર્થીએ 12 વર્ષ બાદ તે જ શિક્ષિકાનો સોશિયલ મીડિયામાં કોન્ટેક્ટ કર્યો અને ત્યારબાદ લગ્નની લાલચ આપી દોઢ વર્ષ સુધી અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન યુવક શિક્ષિકાને ચારધામ યાત્રા અને થાઈલેન્ડ પણ ફરવા લઈ ગયો હતો. આ ઉપરાંત યુવકે રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત 6 લાખ રૂપિયા શિક્ષિકા પાસેથી લીધા હતા. જોકે, બાદમાં યુવકે અન્ય યુવતી સાથે સગાઈ કરી લીધાનો ભાંડો ફૂટતા શિક્ષિકાએ લગ્ન કરવા કહ્યું હતું. પરંતુ યુવકે રૂપિયા પાછા આપવા અને લગ્નની ના પાડતા શિક્ષિકાએ ફરિયાદ નોંધાવી હતી. ગાંધીગ્રામ પોલીસે BNSની કલમ 64 (2)(M), 69, 316(2) સહિતની કલમ અંતર્ગત શિક્ષિકાના પૂર્વ પ્રેમી ધ્રુવલ દેસાઈ વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ધ્રુવલે દોઢ વર્ષ સુધી મારી સાથે શરીર સંબંધ બાંધ્યોદુષ્કર્મ પીડિતા શિક્ષિકાએ જણાવ્યું હતું કે, હું જે સ્કૂલમાં ભણાવું છું તે જ સ્કૂલના પૂર્વ સિનિયર વિદ્યાર્થી ધ્રુવલ દેસાઈએ ફેસબુક મારફતે મારી સાથે કોન્ટેક્ટ કર્યો હતો. લગ્નની લાલચ આપી દોઢ વર્ષ સુધી મારી સાથે શરીર સંબંધ બાંધ્યો. જૂન 2024માં કોન્ટેક્ટ કરી ડિસેમ્બર 2025 સુધી દુષ્કર્મ ગુજાર્યુંહું જ્યારે વર્ષ 2012માં સ્કૂલમાં શિક્ષિકા તરીકે જોડાઈ ત્યારે સિનિયર વિદ્યાર્થી તરીકે ધ્રુવલ ધો. 10માં અભ્યાસ કરતો હતો. જે બાદ ધ્રુવલને મારા સ્કૂલના સ્ટાફ તેમજ મિત્રો દ્વારા ખ્યાલ આવ્યો કે, હું ડિવોર્સી છું અને એકલી રહું છું જેથી ધ્રુવલે જૂન 2024માં મારો કોન્ટેક્ટ કર્યો અને ડિસેમ્બર 2025 સુધી લગ્નની લાલચ આપી દોઢ વર્ષ સુધી મારી સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. ચારધામની યાત્રા અને થાઈલેન્ડ લઈ ગયો હતોજોકે, ધ્રુવલે માર્ચ 2025માં તેની મહિલા મિત્ર સાથે સગાઈ કરી લીધી હતી. જોકે, તેની ખબર ધ્રુવલે મને પડવા દીધી નહોતી અને મને એમ કહ્યું કે, હું તારી સાથે જ લગ્ન કરવા માંગું છું. ધ્રુવલે દોઢ વર્ષમાં મને આખું ગુજરાત અને ચારધામની યાત્રા કરાવી હતી. મે મહિનામાં 10 દિવસ થાઈલેન્ડ લઈ ગયો હતો. દોઢ વર્ષમાં સાવર, બપોર અને સાંજ એમ ત્રણ ટાઇમ મારા ઘરે આવતો હતો. મને વાઈફની જેમ જ ટ્રીટ કરતો હતો. 'હું ગોંડલની ગુંડી છું' કહીં યુવકની માતાની ધમકીધ્રુવલે મને કહ્યું હતું કે આપણે વિદેશમાં સ્થાયી થવું છે જેથી મારી નોકરી પણ મુકાવી દીધી હતી. આ દરમિયાન મેં તેને રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત 6 લાખ રૂપિયા આપ્યા હતા. ધ્રુવલ દેસાઈને અમૂલ પાર્લરની શોપ છે. ધ્રુવલના માતા-પિતા મારા ઘરે આવ્યા હતા અને મને ધમકાવી હતી કે, મારા દીકરીને તે પૈસા લઈને ફસાવ્યો છે. તેની માતાએ મને કહ્યું હતું કે, તું મને ઓળખતી નથી, હું ગોંડલની ગુંડી છું. રયાણીની દીકરી છું. બાદમાં મને ખબર પડી કે ધુવલે સગાઈ કરી લીધી છે. 'હું તમને ઓળખતો નથી તમે કોણ છો? અહીંથી નીકળો'ધ્રુવલની જેની સાથે સગાઈ થઈ હતી તે યુવતી મારા ઘરે આવી હતી અને તે વખતે ધ્રુવલ મારા ઘરેથી પકડાયો હતો. ત્યાર બાદ મેં ધ્રુવલને ફોન કર્યા પરંતુ મને તેણે બ્લોક કરી દીધી હતી અને મારા મેસેજના પણ જવાબ આપતો નહોતો. જે બાદ હું તેની શોપ પર ગઈ ત્યારે તેણે મને કહ્યું કે, હું તમને ઓળખતો નથી તમે કોણ છો? અહીંથી નીકળો. તે વખતે જ મેં જે પૈસા આપ્યા હતા તે માંગતા તેણે પરત આપવાની પણ ના પાડી દીધી હતી. શિક્ષિકાએ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ25 જૂન 2024ના રોજ તેના ફેસબુક પર એક મેસેજ આવ્યો હતો અને તેમાં લખ્યું હતું કે, તે તેનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. ત્યારબાદ ફોન નંબરની આપ લે થઈ હતી. વિદ્યાર્થી 12 વર્ષ નાનો હતો આમ છતાં તેને શિક્ષિકા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. રાજકોટમાં સંસ્કાર સિટી બી વિંગ 404 મવડીમાં રહેતા ધ્રુવલ પંકજભાઈ દેસાઈ નામના યુવાને જુલાઈ 2024માં શિક્ષિકાને ફોન કરીને સીધો જ તેના ઘેર પહોંચી ગયો હતો અને કહ્યું હતું કે, ‘હું જ્યારે ધો.10માં ભણતો હતો ત્યારથી જ તમે મને ગમો છો, હું સ્કૂલ ટાઈમથી જ તમને લાઈક કરું છું.’ ત્યારબાદ ફરી એક વખત લગ્નનો પ્રસ્તાવ મૂકીને શિક્ષિકા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જાન્યુઆરી 2025માં શિક્ષિકાના માતાને પણ મળીને ‘હું શિક્ષિકા સાથે લગ્ન કરવા માગું છું અને અમે લગ્ન બાદ ઓસ્ટ્રેલિયા સ્થાયી થઈ જશું’ તેવી વાત કરી હતી. ત્યારબાદ લગભગ દરરોજ રાત્રિના સમયે ધ્રુવલ શિક્ષિકાના ઘેર આવતો જતો હતો અને લગ્ન કરી જ લેવાના છે તેથી શિક્ષિકા પણ તેમની સાથે પત્નીની જેમ રહેતા હતા. 2025માં બંને થાઈલેન્ડ પણ ફરવા ગયા હતા અને ચાર જ્યોતિર્લિંગની યાત્રા પણ કરી હતી. શિક્ષિકાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી 2025માં ધ્રુવલના માતાનો ફોન આવ્યો હતો કે, તે મારા છોકરાને ફસાવ્યો છે, જોકે આ સમયે ધ્રુવલ પોતાની પાસે જ હતો. ત્યારે ધ્રુવલે એમ કહ્યું હતું કે, તમારે માત્ર હાએ હા જ કરવાની છે. બાકી બધું હું ટેકલ કરી લઈશ. જોકે ધ્રુવલે માર્ચ 2025માં તેની સાથે જ ભણતી યુવતી સાથે સગાઈ કરી લીધી હતી. આ વાતની પોતાને જાણ થતાં તે શું કરવા માગે છે તેમ પૂછતા ધ્રુવલે સ્પષ્ટ કહ્યું હતું કે, પરિવારના દબાણથી આ સગાઈ કરી છે, પરંતુ હું લગ્ન તો તમારી સાથે જ કરવાનો છું અને છેક 23 ડિસેમ્બર 2025 સુધી મળવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો અને આ સમય દરમિયાન અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. શિક્ષિકાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, અઢી વર્ષના સમયગાળા દરમિયાન ધ્રુવલે જ્યારે સગાઈ કરી લીધી ત્યારબાદ ધ્રુવલના માતા અને જેની સાથે સગાઈ થઈ હતી તે યુવતી પણ પોતાને મળવા આવ્યા હતા અને ધ્રુવલની હવે સગાઈ થઈ ગઈ છે તેથી તેની સાથેનો સંબંધ પૂરો કરી નાખવા કહ્યું હતું. જોકે ધ્રુવલ સ્પષ્ટ રીતે કહેતો હતો કે, તેની સાથે જ લગ્ન કરશે અને આથી જ ધ્રુવલને ધંધામાં ખોટ જતા રોકડા 2 લાખ, 4 લાખ પીએફ જમા હતું તેમાંથી અઢી લાખ અને સોનાના દાગીના વેચીને કુલ 7 લાખ રૂપિયાની મદદ પણ કરી હતી. ડિસેમ્બર 2025માં ધ્રુવલે લગ્ન કરવા માટે ના પાડી દેતા અને રૂપિયા પણ પરત દેવાની ના પાડી દેતા અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે માત્ર અરજી લઈ અઢી મહિને કાર્યવાહી કરી20 જાન્યુઆરી 2026ના રોજ પોતે પોલીસને અરજી કરી હતી. પોલીસે નિવેદન લેવા માટે બોલાવી પણ હતી. જોકે તે સમયે ગુનો નોંધ્યો ન હતો. પીએસઆઈ જોશીએ એમ કહ્યું હતું કે, અત્યારે અરજી લઈ છીએ. તમને વિચારવાનો સમય આપીએ છીએ. અમારે સામેવાળાને પણ સમય આપવો પડે. આથી તમે વિચારીને આવો પછી આગળની કાર્યવાહી કરીશું. આ સમય દરમિયાન ધ્રુવલના માતા-પિતા અને ધ્રુવલે જેની સાથે સગાઈ કરી લીધી હતી તે યુવતી ગાંધીગ્રામ પોલીસ મથકે આવ્યા હતા અને પોતાને પણ ત્યાં બોલાવી હતી. આ સમયે ધ્રુવલના પિતાએ બે હાથ જોડીને માફી આપી દેવા વિનંતી કરી હતી. જોકે પોતે પોલીસ ફરિયાદ કરવા મક્કમ હતી. આમ છતાં તપાસના નામે પોલીસે અઢી મહિના બાદ ગુનો નોંધ્યો હતો. અત્રે એ વાત નોંધનીય છે કે, રાજકોટ ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈએ થોડા સમય પહેલાં જ એવું કહ્યું હતું કે, જ્યારે દુષ્કર્મ જેવો ગંભીર ગુનો હોય ત્યારે તાકીદે ફરિયાદ નોંધી લેવી પરંતુ આ કેસમાં પણ અરજીના નામે પોલીસે દુષ્કર્મ પીડિતાને અઢી મહિના સુધી માત્ર ધક્કા ખવડાવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 6:43 pm

લીવઈન પાર્ટનરની હત્યા મામલે સુરજ ભુવાજીના જામીન રદ:યુવતીની હત્યા કરી પેટ્રોલ છાંટી લાશને સળગાવી નાખી'તી, હાઈકોર્ટે જામીન આપતા મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો

વર્ષ 2023માં જૂનાગઢની યુવતીની હત્યા કરી લાશ સળગાવી નાખવાના કેસમાં સુરજ ભુવાજી સહિતના ચાર આરોપીઓને હાઈકોર્ટે જામીન આપ્યા હતા. જેની સામે ફરિયાદી અને સરકાર પક્ષે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરતા સુપ્રીમ કોર્ટે સુરજ ભુવાજી સહિત ચાર આરોપીઓના જામીન રદ કરી ટ્રાયલ કોર્ટ સમક્ષ સરેન્ડર કરવા આદેશ કર્યો છે. સાથે લીવઈનમાં રહેતી યુવતીની સુરજ ભુવાજી સહિતના આરોપીઓએ મળી હત્યા કરી લાશને સળગાવી નાખી હતી. સમગ્ર કેસને અમદાવાદ પોલીસે ઉકેલ્યો હતો. લીવઈનમાં રહેતી યુવતીની હત્યા કરી લાશ સળગાવી દેવાઈ હતીજુનાગઢ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ સુરજ ભુવાજીએ અમદાવાદની કોર્ટમાં ફરિયાદીની બહેનને લઈ જવાનું કહીને પોતાના ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં સહઆરોપી મિત શાહે તેનું ગળું દાબીને હત્યા કરી હતી. બાદમાં તેની બોડી ઉપર પેટ્રોલ છાંટીને તેની લાશ સળગાવી દીધી હતી. મૃતકના ભાઈ એવા ફરિયાદીને આરોપીએ જણાવ્યું હતું કે તેની બહેન અમદાવાદથી ક્યાંક જતી રહી છે. પહેલેથી જ પરિણીત સુરજ ભુવાજી ફરિયાદીની 22 વર્ષીય બહેન સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતો હતો. પરંતુ બંને વચ્ચે ખટરાગ સર્જાતા ફરિયાદીની બહેને સુરજ ભુવાજી સામે દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સૂરજ ભુવાજીએ ફરિયાદીની બહેનનો કાંટો કાઢી નાખવા માટે સહ આરોપીઓ સાથે મળીને કાવતરું રચ્યું હતું. જે મુજબ ફરિયાદીની બહેને કરેલા કેસ સંદર્ભે તેને અમદાવાદ જવાનું કહ્યું હતું. આરોપીઓ યુવતીને લઈને ગાડીમાં ગયા હતા. જ્યાં રસ્તામાં સુરજ ભુવાજીના ખેતરમાં ગાડીને ઉભી રાખી હતી. સીટની પાછળ બેસેલા મિત શાહે યુવતીનું દુપટ્ટાથી ગળું દબાવી દીધું હતું. તેનું મૃત્યુ નીપજતા તેને ખેતરમાં જ સળગાવી દેવામાં આવી હતી. તેના ભાઈને કહેવામાં આવ્યું હતું કે યુવતી અમદાવાદથી ક્યાંક ચાલી ગઈ છે. જ્યારે યુવતીની તો રસ્તા વચ્ચે જ હત્યા કરી દેવામાં આવી હતી. તપાસ મુજબ પોલીસની પકડથી દૂર રહેવા સહ આરોપીને મૃતક યુવતીનો દુપટ્ટો ઓઢાડીને આરોપીઓ અમદાવાદ આવ્યા હતા. વળી યુવતીને શોધવાનું નાટક અમદાવાદના રોડ ઉપરના CCTV કેમેરા સામે કરવામાં આવ્યું હતું. જ્યારે યુવતીના મોબાઈલથી સુરત ભુવાજીને વોટ્સએપ મેસેજ પણ કરવામાં આવ્યા હતા, બાદમાં મોબાઈલનો નાશ કરવામાં આવ્યો હતો. આ તમામ બાબતો પોલીસને ગેરમાર્ગે દોરવા કરવામાં આવી હતી. સહઆરોપી પકડાતા પોલીસ સમક્ષ વટાણા વેરી દીધા હતાસુરજ ભુવાજીએ યુવતીના ભાઈને ફોન કરીને જણાવ્યું હતું કે યુવતી અમદાવાદથી ક્યાંક જતી રહી છે. જે અંગે તેને ગુમ થયાની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. જો કે મિત શાહની પોલીસે કડક પૂછપરછ કરતા તેને વટાણા વેરી દીધા હતા. યુવતીના ભાઈ એવા ફરિયાદીને તપાસ અધિકારીએ સઘળી હકીકત જણાવતા આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. ગુજરાત હાઈકોર્ટે જામીન આપતા ફરિયાદી પક્ષ સુપ્રીમમાં ગયો હતોઉલ્લેખનીય છે કે આરોપીઓએ તપાસ એજન્સીને ખોટા નિવેદનો આપીને ચકરાવે ચઢાવી હતી. વળી યુવતીના કપડા, દુપટ્ટો અને પાકીટને અમદાવાદમાં બાળી નાખ્યા હતા. આ કેસમાં 70 જેટલા સાહેદો છે. ગુજરાત હાઇકોર્ટે આરોપીઓને તપાસ પૂર્ણ થતા અને ચાર્જશીટ ફાઇલ થતાં ટ્રાયલમાં વિલંબ થવાના કારણોસર શરતી જામીન આપ્યા હતા. જો કે સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે ગુનાની ગંભીરતાને જોતા તેમને જામીન આપી શકાય નહીં. જો ટ્રાયલ કોર્ટમાં ટ્રાયલ ચાલવામાં વધુ વિલંબ થાય તેઓ ન્યાયિક માર્ગ અપનાવી શકશે. ચારેય આરોપીઓએ 4 અઠવાડિયામાં ટ્રાયલ કોર્ટ સમક્ષ સરેન્ડર કરવું પડશેફરિયાદીએ એડવોકેટ કુલદીપસિંહ જાડેજા દ્વારા અને રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરતાં સુરજ ભુવાજીની સાથે સહઆરોપી મુકેશ સોલંકી, ગુંજન જોશી અને મીત શાહના જામીન રદ કરવામાં આવ્યા છે. તેઓએ 4 અઠવાડિયાની અંદર ટ્રાયલ કોર્ટ સમક્ષ સરેન્ડર કરવું પડશે. યુવતી અને સુરજ ભુવાજી લીવઈનમાં રહેતા હતામૃતક યુવતી અને સૂરજ લીવઈનમાં રહેતા હતા. સૂરજ તેના પરિવારને મળવા જાય તે યુવતીને પસંદ ન હતું. જેને લઇને યુવતી અને સુરજ વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા.યુવતીએ સૂરજ સામે ફરિયાદ પણ કરી હતી. પરંતુ તે કોર્ટમાં પ્રોસેસમાં હતી. બીજી તરફ સૂરજ પણ યુવતીથી છુટકારો મેળવવા માગતો હતો.પરંતુ હવે કરવું શું તે તેને ખબર ન હતી. એટલે તેણે તેના અનુયાયીઓને પોતાની સાથે લીધા અને તેના કહ્યા પ્રમાણે તેઓ કરતા રહ્યા. જેમાં એક નિર્દોષ યુવતીને સૂરજ અને મીત જૂનાગઢથી અમદાવાદ લાવી રહ્યા હતા. જોકે, તે પહેલા જ ચોટીલા પાસે વટાવલ ગામની સીમામાં તેઓએ કાર ઉભી રાખી હતી. જ્યાં ભુવાએ કહ્યું કે, હું થોડીવારમાં આવું છું મારે પૈસાની જરૂર છે. જોકે, તે સમયે કારમાં યુવતી સાથે મીત હાજર હતો. સૂરજ ધારાનું ગળું દબાવી હત્યા કરીમીત મૂળ અમદાવાદનો છે. તે યુવતી સાથે કારમાં બેઠો હતો તે દરમિયાન સૂરજ ભુવા અને તેના ભાઇઓ ત્યાં આવે છે અને યુવતી સાથે ઝઘડો કરે છે. થોડીવારમાં ઝઘડો ખૂબ જ વધી જાય છે અને સૂરજ યુવતીનું ગળું દબાવી મારી નાખે છે. ત્યારે સૂરજ અને તેની સાથે અન્ય લોકો ભેગા મળીને યુવતીની લાશને પેટ્રોલ અને લાકડાથી સળગાવી નાખે છે. ત્યારબાદ તેઓમાંથી એક વ્યક્તિ મૃતકના કપડા પહેરી અમદાવાદ આવે છે. એટલે કોઇને અમ ના લાગે કે ભુવા જોડે યુવતી અમદાવાદ આવી ન હતી. મીતની માતા અન્ય લોકો સાથે મુંબઇ પહોંચીઅમદાવાદ આવ્યા બાદ ભુવાના મિત્ર મીતે તેની માતાને પણ પ્લાનમાં સામેલ કરી. મીતે ઘરે આવીને તેની માતાને કહે છે કે અમે યુવતીને મારી નાખી છે અને હવે તારે યુવતીના કપડા પહેરી અંહીયાથી બોમ્બે તરફ જવાનું છે એટલે મીત અને સૂરજ બંને તે રાત્રે હોટલમાં રોકાયા હતા. બીજી તરફ સવારે યુવતીના કપડા પહેરી મીતની માતા ઘરેથી નીકળે છે એટલે લોકોને એવું લાગે કે યુવતી સવાર સવારમાં સૂરજને છોડીને ક્યાંક જતી રહી છે. આ સમયે યુવતીનો મોબાઇલ ફોન સ્વિચ ઓફ કરી દેવામાં આવે છે. મીતની માતા અન્ય લોકો સાથે મુંબઇના વસઇ પહોંચે છે. જ્યાં યુવતીનો મોબાઇલ સ્વિચ ઓન કરવામાં આવે છે. યુવતીની હત્યા કર્યા બાદ પોલીસ સમક્ષ ગુમ થયાની અરજી કરી હતીયુવતીની હત્યા નિપજાવ્યા બાદ સુરજ પ્લાન મુજબ અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસને જણાવ્યું હતું કે, યુવતી ક્યાંક જતી રહી છે. અમે તેને શોધી રહ્યા છીએ. અમારે આ સંદર્ભે અરજી આપવી છે. એટલામાં પ્લાન પ્રમાણે ભુવાના ફોનમાં એક મેસેજ આવે છે. જે યુવતીના ફોનમાંથી કરવામાં આવ્યો હતો. આ મેસેજમાં લખ્યું હોય છે કે, સૂરજ હવે તું મને શોધતો નહીં હું તારી જિંદગીમાંથી દૂર જઈ રહી છું અને આ મેસેજ ભુવા અને મીત પાલડી પોલીસ સ્ટેશનના પોલીસને બતાવે છે એટલે તે સમયે પોલીસે આ વાતને કદાચ માની લીધી હોય તેવું શક્ય છે પરંતુ આ પોલીસ સ્ટેશનમાં જે ચાલી રહ્યું હતું. તે પહેલા તો યુવતીની હત્યા થઇ ગઇ હતી અને તેની લાશનો નિકાલ પણ થઇ ગયો હતો. યુવતી ગાયબ છે તેમ જણાવી ફાઇલ બંધ કરી દેવાઇતો બીજી તરફ યુવતીના મોબાઇલ ફોન પર તેનો ભાઇ સતત ફોન કરતો હતો પણ યુવતીનો ફોન નોટ રીચેબલ આવતો હતો. એટલે સૂરજ ઉર્ફે ભુવાએ યુવતીના ભાઇને એક દિવસ ફોન કરીને કહ્યું હતું કે,તેની બહેન ગુમ થઇ ગઇ છે અને અમે તેની જાણ પાલડી પોલીસ સ્ટેશનમાં પણ કરી છે. આ વાતની જાણ થતા યુવતીનો ભાઇ અમદાવાદ આવી પહોંચે છે અને ત્યારબાદ પાલડી પોલીસ સ્ટેશન પહોંચી બહેન વિશે પૂછપરછ કરે છે. પરંતુ કોઇ કડી કે કોઇ ક્લુ ના મળતા યુવતી ગાયબ છે તેમ જણાવી ફાઇલ બંધ કરી દેવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 6:41 pm

અશાંતધારાની મંજૂરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કલેક્ટરને રજૂઆત:લાંચ લેનારાનો વરઘોડો કાઢો, અશાંત ધારાની 1500 ફાઈલોમાં 'વહીવટ' થયો હોવાનો ગંભીર આક્ષેપ, અશાંત ધારાના વિવાદમાં હિન્દુ સંગઠનોની ઉગ્ર માંગ

એસ.પી.ની તપાસમાં જેનું પણ નામ ખુલશે તેના પર કાર્યવાહી થશે - કલેક્ટર ડો.મનીષ બંસલ 10 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો ધરણા અને રામધૂનની ચેતવણી ​ભાવનગર શહેરમાં અશાંતધારા હેઠળ મિલકત ટ્રાન્સફરની પરવાનગી આપવામાં મોટાપાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થતો હોવાના ગંભીર આક્ષેપો સાથે હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ​સંગઠન દ્વારા કરવામાં આવેલા આક્ષેપ મુજબ ભાવનગર પ્રાંત અધિકારીના ડ્રાઈવર દ્વારા મોટી રકમ લઈ અશાંતધારાની મંજૂરી અપાવી દેવાનો વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા અને ટીવી માધ્યમોમાં વાયરલ થયો હતો, આ બાબતે સંગઠનના હોદ્દેદારોએ અગાઉ કલેક્ટરને મળીને તપાસની ખાતરી મેળવી હતી, પરંતુ 10 દિવસ વીતી જવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે, આ ​સંગઠનની મુખ્ય માંગણીઓ છે કે, ભ્રષ્ટાચારી તત્વોએ સત્તાનો દુરુપયોગ કરીને પોલીસ અને મામલતદારના નકારાત્મક અભિપ્રાય હોવા છતાં જે પરવાનગીઓ આપી છે, તેની ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ S.I.T. દ્વારા તપાસ કરવામાં આવે, અશાંતધારાના કાયદાનો ચુસ્તપણે અમલ થાય અને જવાબદારો સામે કાયદેસરના શિક્ષાત્મક પગલાં ભરાય, આ પત્રની નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રભારી મંત્રી કૌશિક વેકરીયા, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા ધારાસભ્ય સેજલબેન પંડ્યા તથા પોલીસ અધિક્ષક ભાવનગર ઓને પણ રજુઆતની કોપી મોકલવામાં આવી છે, ​ભ્રષ્ટાચારીઓ દ્વારા કાયદા વિરુદ્ધ જઈને સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે જો તપાસમાં વિલંબ થશે તો કાયદાનું ગૌરવ જોખમાશે, ​આ રજૂઆત વખતે જિલ્લા અધ્યક્ષ ઉદયભાઈ દવે અને શહેર પ્રમુખ સંતોષભાઈ અરજાણી સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા હવે જોવાનું એ રહે છે કે તંત્ર દ્વારા આ ગંભીર વીડિયો પુરાવા અને રજૂઆત પર શું પગલાં લેવામાં આવે છે, પૂર્વ હિન્દુ યુવા સંગઠન જિલ્લા પ્રમુખ અશોક ગોહિલએ જણાવ્યું હતું કે, ભાવનગર હિન્દુ યુવા સંગઠન તેમજ વિવિધ સંગઠનો દ્વારા અને ભાવનગરની હિન્દુ પ્રજા દ્વારા ભાવનગરના કલેક્ટરને એક આવેદન આપવાનો કાર્યક્રમ રાખેલો હતો, આવેદનનો મુખ્ય હેતુ હતો, જે 2023 ની અંદર અશાંત ધારો ભાવનગરની અંદર લાગ્યો હતો, ત્યાર પછીની ભાવનગરની અંદર 3000 ફાઈલો જે બની છે, એ ફાઈલોની અંદર એનકેન પ્રકારે નાણાકીય વહીવટ કરીને, રાજકીય લાગવગ કરીને 1500 જેવી એવી ફાઈલો છે જે પૈસા આપી, વહીવટ કરી અને જે દસ્તાવેજો થયા છે તેની પૂર્ણ ચકાસણી થાય, ​આજથી 8 દિવસ પહેલા એક ભાવનગર કલેક્ટર કચેરીના ડ્રાઈવર દ્વારા 14 લાખ રૂપિયાની જે લાંચ લીધી હતી, કલેક્ટરએ એને છૂટો કરી અને ત્યાર પછી બીજા કોઈ પગલાં લીધા હોય એવા ભાવનગરની પ્રજાની સમક્ષ નથી, તો અમારી હિન્દુ સમાજની એવી માંગણી છે કે આ જે ડ્રાઈવર છે તેની ઉપર ગુનો દાખલ થાય, એમાં જે જે જોડાયેલા હોય ઓફિસના અધિકારીઓથી માંડીને રાજકીય આગેવાનો, લાંચ લેવાવાળા અને દેવાવાળા ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને એનો પણ ભાવનગરની અંદર વરઘોડો નીકળવો જોઈએ એવી હિન્દુ સંગઠન અને ભાવનગરની હિન્દુ પ્રજાની લાગણી અને માંગણી છે, જો નહીં થાય, તો આગામી 10 દિવસ પછી ભાવનગરની કલેક્ટર કચેરીએ ભાવનગરનો હિન્દુ સમાજ ધરણા પર બેસશે અને રામધૂનનો કાર્યક્રમ કરશે. આ અંગે ભાવનગર કલેકટર ડો.મનીષ બંસલએ જણાવ્યું હતું કે, હિન્દૂ યુવા સંગઠન આવેદનપત્ર આપીને ગયા છે જેમાં વીડિયોની ઓડિયો વગેરે જે ડ્રાઇવરના વાયરલ થયા હતા, તો એના પ્રમાણે જે કન્સર્ન SDM હતા, જેમના ઉપર એલિગેશન એટલે જેમના નામે મીન્સ કે આ ચાલતું હતું, એ એસ.પી.ને એપ્લિકેશન કરી છે અને આ તપાસ એસ.પી.ને ત્યાં ચાલુ છે અને એમાં જે પણ નું નામ આવશે તો એના ઉપર મીન્સ કે કાર્યવાહી થશે, વેરિફિકેશન એટલે કે કરવી પડે છે ને? પછી આ તપાસ થશે અને જે ડ્રાઈવરનો વીડિયો છે, તો ડ્રાઈવર તો આઉટસોર્સિંગનો હતો એટલા માટે છૂટો કરી દીધો છે આ કોઈ પરમેનેન્ટ સરકારી કર્મચારી હતો નહીં અને એમાં જે મીન્સ કે ડ્રાઈવરના બયાન લઈને, જે લાંચ આપનારના જે વીડિયો છે એનો બયાન લઈને જેનું પણ કોઈ નામ આવશે તો એના ઉપર કાર્યવાહી 100 ટકા થશે. વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ મીન્સ કે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અને એમાં ક્યાં સુધી પહોંચ્યા છે, તો હું આ એટલે કે પર્સનલી એસ.પી. સાથે વાત નથી કરી કે ક્યાં સુધી પહોંચ્યા છે, પણ એની સાથે કંટીન્યુઅસ અમે લોકો ટચમાં છીએ. અને આ કહે છે કે ભાઈ 10-15 દિવસમાં તપાસ પૂરી કરીને અને જે પ્રમાણે એને એફ.આઈ.આર. માં કન્વર્ટ કરવાનો થશે તો એફ.આઈ.આર. માં કન્વર્ટ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 6:39 pm

હિંમતનગરમાં ચૈત્ર નવરાત્રીની શોભાયાત્રા નીકળી:શહેરના વિવિધ માર્ગો પર ફરી, ભક્તો મોટી સંખ્યામાં જોડાયા

હિંમતનગરના દેવીપૂજકનગરમાં ચૈત્ર નવરાત્રીના સાતમા દિવસે માતાજીની શોભાયાત્રા યોજાઈ હતી. આ યાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરીને પરત મંદિરે પહોંચી હતી. જૂની સિવિલ સર્કલ સામે આવેલા દેવીપૂજકનગરમાં ચૈત્ર નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે. બુધવારે બપોર બાદ 64 જોગણી માતાજીના મંદિરેથી માતાજીની ફોટો પ્રતિમા સાથે શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું. ડીજે સાથે નીકળેલી આ યાત્રા સિવિલ સર્કલ અને પાંચબત્તી થઈને ટાવર ચોકમાં પહોંચી હતી. ટાવર ચોકમાં ભક્તો માતાજીના ગરબે ઘૂમ્યા હતા. ત્યારબાદ, શોભાયાત્રા નવા બજાર, ગાંધી રોડ અને પોસ્ટ ઓફિસ પાસેથી પસાર થઈને જૂની સિવિલ સામે દેવીપૂજક નગરમાં આવેલા માતાજીના મંદિરે પરત ફરીને સંપન્ન થઈ હતી. શ્રી જગદંબા યુવક મંડળ દ્વારા આયોજિત ચૈત્ર નવરાત્રી મહોત્સવ અંતર્ગત આ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તેમાં સ્થાનિકો, અગ્રણીઓ, યુવક-યુવતીઓ અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 6:38 pm

પાટીદાર યુવકની UPSC પ્રિલિમ્સના એક પ્રશ્રના 2.06 માર્ક માટે જંગ:હાઈકોર્ટે પ્રાથમિક દ્રષ્ટિએ જવાબને ખોટો ગણાવ્યો, ફેલ ઉમેદવાર મુખ્ય પરીક્ષામાં પાસ; ઈન્ટરવ્યુ આપી શકશે

ગુજરાત હાઇકોર્ટમાં ગાંધીનગરથી જયમીન પટેલે UPSC દ્વારા લેવાયેલી સિવિલ સર્વિસીસ 2024 ની પ્રાથમિક પરીક્ષાના જનરલ સ્ટડીઝ પેપર-I ના એક પ્રશ્નના ખોટા મૂલ્યાંકન અંગે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. UPSCએ વિકલ્પ-C સાચો ગણાવ્યો, અરજદારે વિકલ્પ B સાચો હોવાની રજૂઆત કરીવિવાદિત પ્રશ્ન નંબર 25માં કેન્દ્રીય બજેટ અંગેના વિધાનો હતા. UPSCએ વિકલ્પ 'C- બંને વિધાનો સાચાને', સાચો જવાબ ગણ્યો હતો, જ્યારે અરજદારના મતે વિકલ્પ 'B- માત્ર વિધાન 2 સાચું' હોવાને સાચો જવાબ હોવાની રજૂઆત કરી હતી. પ્રશ્ન બંધારણની કલમ 112 મુજબ વાર્ષિક નાણાકીય બજેટ રાષ્ટ્રપતિ વતી રજૂ કરવામાં આવે છે, નહીં કે વડાપ્રધાન વતી તેવી અરજદારની રજૂઆત હતી. અરજદારને પ્રાથમિક પરીક્ષામાં 98.29 ગુણ મળ્યા હતા, જ્યારે કટ-ઓફ 100.35 ગુણનું હતું. જો આ એક પ્રશ્ન સાચો ગણાય, તો અરજદારને વધારાના 2.06 ગુણ મળે અને તે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરે તેમ હતું. 'UPSCનો જવાબ ખોટો જણાય છે'કોર્ટે પ્રથમ દ્રષ્ટિએ સ્વીકાર્યું કે, UPSCનો જવાબ ખોટો જણાય છે, કારણ કે બજેટ રાષ્ટ્રપતિ વતી રજૂ થાય છે. કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી કે UPSC ફાઈનલ રિઝલ્ટ પછી આન્સર-કી જાહેર કરે છે, જેના કારણે ઉમેદવાર પાસે કોઈ ઉપાય બાકી રહેતો નથી. 'UPSC અરજદારને IFSની મુખ્ય પરીક્ષામાં બેસવા દે'કોર્ટે વચગાળાનો આદેશ કર્યો હતો કે, UPSC અરજદારને વર્ષ 2025ની ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસની મુખ્ય પરીક્ષામાં બેસવા દે. અરજદારનું મુખ્ય પરીક્ષાનું પરિણામ સીલબંધ કવરમાં રાખવામાં આવે અને કોર્ટની પરવાનગી વગર ખોલવામાં આવશે નહીં. પરીક્ષામાં બેસવાની મંજૂરી મળવાથી અરજદારનો કોઈ કાયમી હક ઊભો થશે નહીં. SCએ હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી અરજી ફગાવી દીધીUPSCએ આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે તેમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી અરજી ફગાવી દીધી હતી. મુખ્ય પરીક્ષામાં ક્વોલિફાઇ જાહેર થયોહવે અરજદાર ઉમેદવારનું મુખ્ય પરીક્ષાનું પરિણામ સીલબંધ કવરમાં કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. જે પરિણામ મુજબ અરજદાર IFSની લેખિત મુખ્ય પરીક્ષામાં ક્વોલિફાઇ જાહેર થયો હતો. મૌખિક ઇન્ટરવ્યુમાં બેસવા મંજૂરીની મથામણઆથી અરજદાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે તેને લેખિત પરીક્ષા પાસ કરી હોવાથી, અરજદારને 06 એપ્રિલ, 2026 થી શરૂ થતા મૌખિક ઇન્ટરવ્યુમાં બેસવાની મંજૂરી આપવામા આવે. UPSCએ દલીલ કરી હતી કે, આ મંજૂરી કાયદેસર રીતે યોગ્ય નથી. કારણ કે અરજદાર 2024ની બેચ માટે હતો અને હવે તે 2025ની બેચના ઇન્ટરવ્યુમાં બેસશે, જેમાં તેની વયમર્યાદા વધી ગઈ હોઈ શકે છે. કોર્ટે મૌખિક ઇન્ટરવ્યુમાં બેસવા આદેશ કર્યોકોર્ટે નોંધ્યું કે જો અરજદારને ઇન્ટરવ્યુમાં બેસવા ન દેવામાં આવે તો અગાઉનો વચગાળાનો આદેશ નિરર્થક બની જશે. આથી કોર્ટે UPSCને આદેશ આપ્યો હતો કે અરજદારને 2025ની બેચ માટેના મૌખિક ઇન્ટરવ્યુમાં બેસવા દેવામાં આવે અને તેના માટે જરૂરી તમામ ફોર્મ સ્વીકારવામાં આવે. ઇન્ટરવ્યુનું પરિણામ સીલબંધ કવરમાં કોર્ટ સમક્ષ રજૂ કરવાનું રહેશેઅરજદારે એક અઠવાડિયામાં UPSCને લેખિતમાં બાંહેધરી આપવી પડશે કે ઇન્ટરવ્યુમાં બેસવાથી તેનો નોકરી માટેનો કોઈ કાયમી હક ઊભો થશે નહીં અને તે નિમણૂકનો દાવો કરી શકશે નહીં. તેના ઇન્ટરવ્યુનું પરિણામ ફરીથી સીલબંધ કવરમાં રાખવામાં આવશે અને જ્યારે અન્ય તમામ ઉમેદવારોના પરિણામ જાહેર થાય ત્યારે અરજદારનું પરિણામ કોર્ટ સમક્ષ રજૂ કરવાનું રહેશે. UPSCનો વિવાદિત પ્રશ્ન...• કેન્દ્રીય બજેટના સંદર્ભમાં, નીચેના વિધાનો ધ્યાનમાં લો :1. કેન્દ્રીય નાણા મંત્રી વડાપ્રધાન વતી સંસદના બંને ગૃહો સમક્ષ 'વાર્ષિક નાણાકીય નિવેદન' રજૂ કરે છે. 2. કેન્દ્રીય સ્તરે, ભારત પર રાષ્ટ્રપતિની ભલામણ સિવાય અનુદાન (grant) માટેની કોઈ માંગ કરી શકાતી નથી. ઉપર આપેલા વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચા છે?(a) માત્ર 1(b) માત્ર 2(c) 1 અને 2 બંને(d) 1 અથવા 2 પૈકી એક પણ નહીં

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 6:36 pm

ભરૂચમાં પેન્શનર્સનો વિરોધ: નવા નિયમો સામે આવેદન:પોર્ટલ ખામીઓ અને સમાનતા મુદ્દે કલેક્ટરને રજૂઆત

રાજ્યમાં પેન્શન સંબંધિત નવા નિયમો અને ઓનલાઈન પોર્ટલ વ્યવસ્થા સામે નિવૃત્ત કર્મચારીઓમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે. આ મુદ્દે ભરૂચ જિલ્લા પેન્શનર્સ મંડળે આજે રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. પેન્શનર્સ મંડળના સભ્યો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને સરકારની નવી પેન્શન પોર્ટલ વ્યવસ્થા સામે રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં જણાવાયું છે કે, સરકાર દ્વારા અમલમાં મુકાયેલ પેન્શન પોર્ટલનો ઉદ્દેશ્ય નિવૃત્ત કર્મચારીઓને સરળતા, પારદર્શિતા અને સમયસર ચુકવણી સુનિશ્ચિત કરવાનો હતો, પરંતુ વર્તમાન સ્થિતિ તેનાથી વિપરીત છે. પેન્શનર્સના મતે, પોર્ટલમાં ટેકનિકલ ખામીઓને કારણે રજિસ્ટ્રેશન, દસ્તાવેજ અપલોડ અને માહિતી સુધારવા જેવી પ્રક્રિયાઓ મુશ્કેલ બની રહી છે. ખાસ કરીને વયસ્ક નિવૃત્ત કર્મચારીઓ માટે ઓનલાઈન પ્રક્રિયા વધુ જટિલ હોવાનું તેમણે જણાવ્યું. ઘણા પેન્શનર્સને સમયસર પેન્શન ન મળતા આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદો પણ છે. આવેદનપત્રમાં 1 સપ્ટેમ્બર 2025 પહેલા અને બાદમાં નિવૃત્ત થયેલા કર્મચારીઓ વચ્ચે પેન્શનની ગણતરી અને ચુકવણીમાં તફાવત હોવાનો ખાસ ઉલ્લેખ કરાયો છે. આના કારણે સમાનતાનો મુદ્દો ઉભો થયો છે. પેન્શનર્સ મંડળે સરકાર સમક્ષ તમામ નિવૃત્ત કર્મચારીઓને સમાન ધોરણે પેન્શન ચૂકવવાની માંગ કરી છે. પેન્શનર્સે સરકારને પોર્ટલમાં રહેલી ખામીઓ તાત્કાલિક દૂર કરી પ્રક્રિયાને સરળ બનાવવા તેમજ પેન્શન ચુકવણી વ્યવસ્થામાં પારદર્શિતા અને સમયબદ્ધતા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 6:21 pm

અપહરણ અને દુષ્કર્મ કેસમાં પોક્સો કોર્ટનો હુકમ:માણસાની 17 વર્ષીય પરણિત સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર પ્રેમીને 10 વર્ષની સખત કેદ ફટકારી

માણસા તાલુકામાં આશરે દસ વર્ષ પૂર્વે બનેલી પરણિત સગીરાના અપહરણ અને દુષ્કર્મની ચકચારી ઘટનામાં ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. સાસરીમાં ગયેલી 17 વર્ષીય સગીરાને લલચાવી-ફોસલાવી ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર માણસાના રાકેશ બાબુભાઈ ચૌધરીને કોર્ટે ગુનેગાર ઠેરવી 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાસુ સાથે માણસા ખરીદી કરવા ગઈને યુવતી ગુમઆ કેસની વિગત મુજબ, ફરિયાદી ખેડૂતની 17 વર્ષીય દીકરીના લગ્ન વર્ષ 2016માં સામાજિક રીત-રિવાજ મુજબ કલોલ ખાતે થયા હતા. લગ્ન બાદ દીકરી સાસરીમાં પ્રસંગોપાત અવરજવર કરતી હતી. 30 ઓગસ્ટ, 2016ના રોજ દીકરી તેની સાસુ સાથે માણસા મુકામે ખરીદી કરવા ગઈ હતી. જ્યાંથી તે અચાનક ગુમ થઈ હતી. પરિવારજનોની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, તેમના જ ગામનો રાકેશ બાબુભાઈ ચૌધરી સગીરાને લલચાવીને ભગાડી ગયો હતો. સગીરા ઘરમાંથી 3 લાખ રોકડ અને સોનાના દાગીના પણ લઈ ગઈ હતીઆ ગુનામાં અન્ય કેટલાક શખ્સોએ મદદગારી કરી હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી.શરૂઆતમાં દીકરીના પિતાએ જ્યારે આરોપીના પિતાનો સંપર્ક કર્યો ત્યારે તેમણે બે દિવસમાં દીકરી શોધી આપવાની ખાતરી આપી હતી. પરિણામે સમાજમાં આબરૂ જવાની બીકે અને લોકલાજે પિતાએ તુરંત પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જોકે નિર્ધારિત સમય વીતવા છતાં દીકરી પરત ન આવતા અને આરોપીના પરિવારે ધમકીઓ આપવાનું શરૂ કરતા આખરે કાયદાનો આશરો લેવામાં આવ્યો હતો. આ દરમિયાન સાસરી પક્ષે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, સગીરા ઘરમાંથી 3 લાખ રોકડ અને અંદાજે 100 ગ્રામ સોનાના બિસ્કિટ સહિતના દાગીના પણ સાથે લઈ ગઈ હતી. કોર્ટે આરોપીને 10 વર્ષની સજા અને 30 હજારનો દંડ ફટકાર્યો હતોમાણસા પોલીસે આ મામલે પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપી રાકેશ ચૌધરીની ધરપકડ કરી હતી અને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસની સુનાવણી ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટના બીજા એડિશનલ સેશન્સ જજ એસ.વી. શર્મા સમક્ષ ચાલી જતાં સરકારી વકીલ સુનિલ એસ પંડ્યાની ધારદાર દલીલો અને રજૂ કરાયેલા પુરાવાઓને ગ્રાહ્ય કોર્ટે આરોપી રાકેશ ચૌધરીને 10 વર્ષની સખત કેદની સજા અને 30 હજારનો દંડ ભોગવવાનો હુકમ કર્યો છે. ઉપરાંત પીડિતાને કાનૂની સેવા સત્તા મંડળ મારફતે 4 લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 6:10 pm

સોમનાથ કનકાઈ મંદિરે ચૈત્ર આઠમે ભક્તિમય માહોલ:850 વર્ષ પ્રાચીન ધામે નવચંડી યજ્ઞ, મહાપ્રસાદ અને સંતવાણી યોજાઈ

સોમનાથ નજીક આવેલા 850 વર્ષ પ્રાચીન કનકાઈ માતાજી મંદિરે ચૈત્ર માસની આઠમ ભક્તિભાવપૂર્વક ઉજવાઈ. સોમનાથથી આશરે બે કિલોમીટર દૂર વાડી વિસ્તારમાં આવેલા આ ધામે નવચંડી યજ્ઞ, મહાપ્રસાદ, લોકડાયરો અને સંતવાણી જેવા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં ભક્તોએ નવચંડી યજ્ઞમાં ભાગ લીધો હતો અને ધાર્મિક વિધિઓ કરી હતી. દિવસ દરમિયાન યોજાયેલા મહાપ્રસાદમાં હજારો શ્રદ્ધાળુઓએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. કનકાઈ માતાજીને વિવિધ જ્ઞાતિના લોકો કુળદેવી તરીકે પૂજે છે. આથી સમગ્ર ગુજરાતમાંથી ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. મંદિર પાસેના ઐતિહાસિક કુંડ વિશે એવી લોકવાયકા છે કે માતાજી તેમાંથી પ્રગટ થયા હતા, જે આ સ્થળની ધાર્મિક મહત્તામાં વધારો કરે છે. ચૈત્ર આઠમના દિવસે અહીં મેળા જેવું વાતાવરણ સર્જાયું હતું. પ્રભાસપાટણ અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. સાંજે યોજાયેલા ભક્તિમય લોકડાયરા અને સંતવાણીના કાર્યક્રમોએ ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કનકાઈ માતાજી મિત્ર મંડળના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. મંદિરના પૂજારી મહેશગીરી શંભુગીરી ગૌસ્વામી સેવા આપી રહ્યા છે. કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લાના અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ કાનાભાઈ વાસાભાઈ ગઢીયા, તાલુકા પંચાયતના સભ્ય વાલજીભાઈ બામણીયા, દેવાભાઈ સહિત અનેક આગેવાનો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 6:00 pm

રીક્ષાની સીટ નીચે સંતાડ્યું ગૌમાંસ:સાવકા પિતાએ 13 વર્ષની દીકરીને બનાવી હવસનો શિકાર, મધ્યાહ્ન ભોજનના મેનુમાં કરાયો બદલાવ

ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની રચના રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપે પ્રદેશ ચૂંટણી સમિતિની રચના કરી.. જેમાં 19 સભ્યોનો સમાવેશ કરાયો છે.. આમાં મુખ્યમંત્રી, 2 આમંત્રિત અને 4 વિશેષ આમંત્રિત સભ્યનો સમાવેશ થાય છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ગૃહમાં મામલો ગરમાયો ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના છેલ્લા દિવસે પ્રશ્નકાળ ગરમાયો. મંત્રીઓના અધૂરા જવાબ પર અધ્યક્ષ શંકર ચૌધરી બગડ્યા. તેમણે મંત્રીઓને પ્રશ્ન સમજી યોગ્ય જવાબ આપવાની ટકોર કરી.. એટલું જ નહીં અધિકારીઓને પણ મૂક પ્રેક્ષક બની ન બેસવા ટપાર્યા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મધ્યાહ્ન ભોજનના નાસ્તાના મેનુમાં બદલાવ કરાયો ગુજરાતમાં મધ્યાહ્ન ભોજનના નાસ્તાના મેનુમાં બદલાવ કરાયો. પરંપરાગત સુખડીની જગ્યાએ હવે મિલેટ સુખડી આપવામાં આવશે.આ સિવાય પ્રોટીન, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર આહારનો સમાવેશ કરાયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ડ્રાઈવરની સીટ નીચેથી મળ્યું પશુ માંસ અમદાવાદના કુબેરનગર વિસ્તારમાંથી રિક્ષામાંથી પશુ માંસ ઝડપાયું છે. રિક્ષાચાલક પાસેથી ખંજર પણ મળી આવ્યું. ગૌરક્ષકોએ રિક્ષા ચાલકને ઢોર માર માર્યો.પશુ માંસને પરીક્ષણ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યુ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ સામે વ્યાજખોરીની ફરિયાદ સુરત શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ ઋષિન રાયકા સામે 1.95 કરોડની વ્યાજખોરીની ફરિયાદ નોંધાઈ. પક્ષના જ કાર્યકર્તાએ ફરિયાદ નોંધાવી કે 1.05 કરોડ સામે 1.27 કરોડ ચૂકવ્યા છતાં વધુ 1.95 કરોડની માંગણી કરવામાં આવી રહી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાંચ મહિના સુધી સાવકા પિતાનું દુષ્કર્મ સુરતના કતારગામમાં સાવકા પિતાએ 13 વર્ષની દીકરી પર દુષ્કર્મ કર્યું. સતત પાંચ મહિના સુધી જાનથી મારી નાખવાની ધમકી આપી પિતા હવસ સંતોષતો રહ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પત્નીના આડાસંબંધોથી ત્રાસી પતિએ આત્મહત્યા કરી અમદાવાદમાં પત્નીના આડાસંબંધોથી કંટાળીને પતિએ આત્મહત્યા કરી લીધી.મૃતકે પત્નીને સુધરી જવા સમજાવી હતી પણ પત્નીએ પતિ પર ખોટો કેસ કરવાની ધમકી આપી હતી.. મૃતકે બાળકોની માફી માગી, પત્નીને સજા અપાવવાની વાત સ્યુસાઈડ નોટમાં કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 24 કલાકે પણ ડમ્પિંગ સાઈટમાં લાગેલી આગ બેકાબૂ સુરતના ખજોદ ડમ્પિંગ સાઈટમાં લાગેલી આગ 24 કલાકે પણ બેકાબૂ. 1 કિમી કચરાના પહાડમાં લાગેલી આગે ભયંકર સ્વરુપ ધારણ કર્યું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ડમ્પર ચાલકે રાહદારીને અડફેટમાં લેતા મોત અમદાવાદના વાડજમાં વહેલી સવારે ડમ્પર રાહદારીને ટક્કર મારી મોતને ઘાટ ઉતાર્યા. લોકોએ ડમ્પર ચાલકનો પીછો કર્યો પણ તે ફરાર થઈ ગયો. પોલીસે ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજકેટની પરીક્ષા માટે ગુજરાત બોર્ડનો એક્શન પ્લાન 29 માર્ચે યોજાનારી ગુજકેટની પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડનો એક્શન પ્લાન... પરીક્ષા કામગીરીના જાણકાર હોય એવા વર્ગ-2ના અધિકારીની ઝોનલ અધિકારી તરીકે નિમણુક કરાશે, તો સીસીટીવીથી ચાંપતી નજર પણ રખાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 5:58 pm

રાજ્ય ચૂંટણી પંચની તૈયારી પર પ્રશ્નચિહ્ન!:વેબસાઈટ પર જૂનો ડેટા, તાલુકા-નગરપાલિકાની મુદ્દત અંગે સ્પષ્ટતા જ નહીં, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ માહિતી વ્યવસ્થામાં ખામી

ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ રાજ્ય ચૂંટણી પંચની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. એક તરફ રાજ્યમાં 15 મહાનગરપાલિકા સહિત વિવિધ સ્થાનિક સંસ્થાઓમાં ચૂંટણી યોજાવાની તૈયારી ચાલી રહી છે અને એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. ત્યારે બીજી તરફ ચૂંટણી પંચ પાસે જ તાલુકા પંચાયત અને નગરપાલિકાની મુદ્દત પૂર્ણ થઈ છે તેની સંપૂર્ણ અને અપડેટ માહિતી ઉપલબ્ધ નથી તે ચોંકાવનારી હકીકત સામે આવી રહી છે. ચૂંટણી પંચનું મુખ્ય કાર્ય નિષ્પક્ષ અને સમયસર ચૂંટણી યોજવાનું હોય છે, પરંતુ ચૂંટણી નજીક આવી રહી હોવા છતાં આધારભૂત માહિતીનો જ અભાવ હોવો તંત્રની કાર્યક્ષમતા પર સીધો સવાલ ઉભો કરે છે. ખાસ કરીને કઈ સંસ્થાઓમાં ચૂંટણી બાકી છે અને ક્યાં સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે તેની સ્પષ્ટ માહિતી ન હોવી આયોજનમાં ગંભીર ખામી દર્શાવે છે. ઓક્ટોબર 2025માં રોટેશન જાહેર થયા બાદ પણ સાઈટ પર જૂનો ડેટાઆગામી સમયમાં થનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 27 ટકા ઓબીસી અનામત સાથે યોજાવાની છે. ચૂંટણી પંચ દ્વારા ઓક્ટોબર 2025માં જ 27 ટકા ઓબીસી અનામતની અમલવારી સાથે નવા રોટેશન જાહેર કરી ચૂકી છે. પરંતુ, સ્ટેટ ઈનલેકશન કમિશનની સાઈટ પર હજી પણ વોર્ડ વાઈઝ બેઠકની જૂની જ માહિતી દર્શાવવામાં આવી રહી છે. વેબસાઈટ પર પણ ગોટાળો: જૂનો ડેટા, નવો અપડેટ ડેટા નથીસ્થિતિ એટલી ચિંતાજનક છે કે રાજ્ય ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ પર પણ અપડેટેડ માહિતી ઉપલબ્ધ નથી. હાલ વેબસાઈટ પર જૂનો ડેટા જ જોવા મળે છે, જ્યારે નવી માહિતી અપલોડ કરવામાં આવી નથી. આ કારણે સામાન્ય નાગરિકો તેમજ રાજકીય પક્ષોને ચોક્કસ માહિતી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. તેની સામે, કેન્દ્રીય સ્તરે Election Commission of India દ્વારા દરેક માહિતી સમયસર અને પારદર્શક રીતે વેબસાઈટ પર અપડેટ કરવામાં આવે છે, જેની તુલનામાં રાજ્ય ચૂંટણી પંચની કામગીરી નબળી જણાઈ રહી છે. તંત્ર હજુ ડેટા એકત્રિત કરવામાં જ વ્યસ્તસૂત્રો મુજબ, હાલ પરિસ્થિતિ એવી છે કે ચૂંટણી તારીખો જાહેર થવાના આરે છે છતાં તંત્ર હજુ સુધી ડેટા એકત્રિત કરવામાં જ વ્યસ્ત છે. આ પરિસ્થિતિ ચૂંટણી પ્રક્રિયામાં વિલંબ સર્જી શકે છે તેવી શક્યતા પણ નકારી શકાય તેવી નથી. વિશ્લેષકોના મતે આયોજન વધુ મુશ્કેલ બનશેવિશ્લેષકો માને છે કે જો ચૂંટણી પંચ પાસે જ તાલુકા અને નગરપાલિકાની સમયમર્યાદાની ચોક્કસ માહિતી ન હોય, તો સમગ્ર રાજ્યમાં એકસાથે ચૂંટણી આયોજન કરવું વધુ મુશ્કેલ બની શકે છે. આવી સ્થિતિમાં તાત્કાલિક માહિતી વ્યવસ્થા મજબૂત કરવાની જરૂર છે. રાજકીય વર્તુળોમાં ગરમાવોઆ મુદ્દે રાજકીય વર્તુળોમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. વિરોધ પક્ષો દ્વારા ચૂંટણી પંચ અને રાજ્ય સરકારની કામગીરી પર પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે અને સંપૂર્ણ માહિતી જાહેર કરવાની માંગ ઉઠી રહી છે. આ પરિસ્થિતિએ હવે એક મોટો પ્રશ્ન ઉભો કર્યો છે — શું રાજ્ય ચૂંટણી પંચ ખરેખર ચૂંટણી માટે તૈયાર છે કે પછી ફરી એકવાર ગડબડ અને વિલંબનો સામનો કરવો પડશે?

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 5:46 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:બેફામ ડમ્પરે રાહદારીનો જીવ લીધો, BEEKEY BEKARSની નાનખટાઈ ખાધીને ઉલટીઓ થઈ

દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 5:45 pm

મિત્રનો બર્થ-ડે ઉજવવા ગયેલા સગીરને બુટલેગરે ધોકાવ્યો:તું દારૂની કેમ બાતમી આપે છે? કહીને , પિતા ફરિયાદ કરવા ગયા તો પોલીસકર્મીએ કહ્યું- 'પીઆઇ સાહેબને મળી લેજો'

અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી છે. બુટલેગરે 16 વર્ષીય સગીર અને યુવકને તું દારૂની કેમ બાતમી આપે છે એમ કહીને લાકડીઓ અને છરી વડે માર્યો હતો. આ મામલે સગીરના પિતા દ્વારા નિકોલ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશનમાં રાતે ફરિયાદ કરવા ગયા હતા. જોકે, પોલીસે ફરિયાદ લેવાની જગ્યાએ પીઆઇ સાહેબને મળી લેજો કહ્યું હતું. પીઆઇને મળીને ફરિયાદ લેવા જાણ કરી હતી. જોકે, આ મામલે હજી સુધી નિકોલ પોલીસે ફરિયાદ નોંધી નથી. નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એસ. વાઘેલાએ જણાવ્યું હતું કે, 16 વર્ષીય સગીરને માર માર્યો હોવાનું મારા ધ્યાન પર આવ્યું છે. આ મામલે પોલીસ ફરિયાદ લેવાની તજવીજ ચાલી રહી છે. સગીરના મિત્રનો જન્મદિવસ હોવાથી સગીર ત્યાં ગયો હતોમળતી માહિતી મુજબ 16 વર્ષીય સગીર ઓઢવ વિસ્તારમાં તેના પરિવાર સાથે રહે છે. સગીર અગાઉ નિકોલ વિસ્તારમાં પારંતી ઔડા આવાસ યોજનાના મકાનમાં પરિવાર સાથે રહેતો હતો. હાલમાં તેનું મકાન ભાડે આપેલું છે. 16 વર્ષીય સગીર વર્ષો સુધી નિકોલ ખાતે જુના મકાનોમાં રહેલો હતો જેથી તેના મિત્રો ત્યાં હતા. ગઈકાલે 24 માર્ચના રોજ સગીરના મિત્રનો જન્મદિવસ હોવાથી સગીર ત્યાં ગયો હતો. સગીર તેના મિત્રો સાથે ત્યાં હાજર હતો. પોલીસકર્મીએ ફરિયાદ માટે પીઆઈ સાહેબને મળવા માટે કહ્યુંઆ દરમિયાન મોન્ટુ નામનો વ્યક્તિ ત્યાં આવ્યો હતો અને સગીરને તું દારૂની બાતમી કેમ આપે છે એમ કહીને માર માર્યો હતો. તેની સાથે એક મિત્ર પણ વચ્ચે પડ્યો હતો જે મિત્રને પણ છરી અને ડંડા વડે માર માર્યો હતો, જેના કારણે બંનેને ગંભીર ઇજાઓ થઈ હતી. ત્યારબાદ મોન્ટુ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ સગીરના પિતાને પણ કરવામાં આવી હતી, જેથી તેઓ પણ ત્યાં આવ્યા હતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે સગીરના પિતા ગયા હતા પરંતુ, હાજર પોલીસકર્મીએ તેમને પીઆઇ સાહેબને ફરિયાદ માટે મળી લેજો એવું કહ્યું હતું જે બાદ આજે સવારથી ફરિયાદ નોંધાવા માટે તેઓ પોલીસ સ્ટેશન જઈ રહ્યા છે. માર મારનાર બુટલેગર છે અને અગાઉ પણ તેની સામે ગુનામાં પાસા થઈ છેસગીરના પિતાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારો પુત્ર તેના મિત્રનો જન્મદિવસ હોવાથી નિકોલ ખાતે મારા જુના મકાને ગયો હતો ત્યાં મોન્ટુ નામનો વ્યક્તિ ત્યાં આવ્યો હતો અને દારૂની બાતમી કેમ આપે છે એમ કહી અને માર માર્યો હતો. માર મારનાર બુટલેગર છે અને અગાઉ પણ તેની સામે ગુનામાં પાસા થયેલા છે. પોલીસ સ્ટેશન ખાતે એટ્રોસિટીની કલમો હેઠળ ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા પરંતુ પીઆઇ સાહેબને મળીને ફરિયાદ આપવા પોલીસ કર્મી એ કહ્યું હતું જેના કારણે થઈને હજી સુધી ફરિયાદ નોંધવામાં આવી નથી.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 5:40 pm

ધ્રાંગધ્રામાં રામનવમી પૂર્વે સર્વ સમાજની બેઠક યોજાઈ:PIની અધ્યક્ષતામાં શોભાયાત્રાના આયોજન અંગે માર્ગદર્શન અપાયું

ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે રામનવમીના આગામી તહેવાર નિમિત્તે સર્વ સમાજની એક બેઠક યોજાઈ હતી. આ બેઠક પીઆઈ એમ.યુ. મશીની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં રામનવમીની શોભાયાત્રાના સુચારુ આયોજન અને કાયદો-વ્યવસ્થા જાળવવાના હેતુથી આ બેઠક બોલાવવામાં આવી હતી. શોભાયાત્રાના આયોજકોને વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. ધ્રાંગધ્રા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને રામ બોલ મંદિર દ્વારા રામનવમી નિમિત્તે બે શોભાયાત્રાઓ કાઢવામાં આવે છે. આ શોભાયાત્રાઓના સંચાલકોને સુરક્ષા અને વ્યવસ્થા સંબંધિત જરૂરી નિર્દેશો અપાયા હતા. બેઠકમાં વિવિધ સમાજના આગેવાનો, શોભાયાત્રાના સંચાલકો અને મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા, જેમણે તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવવા સહયોગની ખાતરી આપી હતી.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 5:36 pm

સુરતના ‘ટોપ-16’નો ઇનામી 26 વર્ષે ઝડપાયો:સાંગલીના જંગલોમાં વેશપલ્ટો કરી પોલીસે દબોચ્યો, લૂંટ વખતે ખેડૂતની દીકરી પર દુષ્કર્મ આચરી મહારાષ્ટ્ર ભાગી ગયો, ત્યાં પણ એક મર્ડર કર્યું

વર્ષ 2000થી પોલીસને હાથતાળી આપી રહેલો અને સુરતના ટોપ-16 મોસ્ટ વોન્ટેડ આરોપીઓની યાદીમાં સામેલ સુનિલ ઝુંબર કાળે આખરે કાયદાના સકંજામાં આવ્યો છે. લિંબાયત પોલીસે ફિલ્મી ઢબે મહારાષ્ટ્ર-કર્ણાટક બોર્ડર પર આવેલા સાંગલીના ગાઢ જંગલોમાં વેશ પલટો કરીને આ રીઢા ગુનેગારને દબોચી લીધો છે. આરોપી પર સુરત પોલીસ કમિશનરે 40,000 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે, સુરતથી ભાગ્યા પછી પણ આરોપીની ગુનાહિત પ્રવૃત્તિઓ અટકી નહોતી. તેણે મહારાષ્ટ્રના સાંગલીમાં પણ એક મર્ડર (કલમ 302) કર્યું હતું. દુષ્કર્મ અને લૂંટનો આરોપી છેલ્લા 26 વર્ષથી ફરાર હતોવર્ષ 2000 અને 2003માં સુરતના લિંબાયત વિસ્તારમાં બનેલી લૂંટ અને દુષ્કર્મની ઘટનાઓએ શહેરને હચમચાવી દીધું હતું. આ ગુનાનો મુખ્ય સૂત્રધાર સુનિલ કાળે છેલ્લા 26 વર્ષથી ફરાર હતો. પોલીસ માટે આ કેસ એક મોટો પડકાર હતો, કારણ કે આટલા લાંબા સમયમાં આરોપીનો ચહેરો અને રહેઠાણ સંપૂર્ણપણે બદલાઈ ચૂક્યા હતા. જોકે, લિંબાયત પોલીસે હાર માન્યા વગર આધુનિક ટેકનોલોજી અને હ્યુમન સોર્સના આધારે તપાસ ચાલુ રાખી હતી. ખેડૂતના ઘરમાં ઘૂસી મારી નાખવાની ધમકી આપી લૂંટ ચલાવીઘટનાની વિગત મુજબ, 6 ઓગસ્ટ 2003ની મધરાતે આરોપી સુનિલ અને તેના સાથીદારોએ પરવતગામની સીમમાં આવેલા ધનશ્યામભાઈ ભાદાણીના ખેતરમાં ત્રાટક્યા હતા. ત્યાં રહેતા ઓધડભાઈ પટેલના પરિવારને મોતની ધમકી આપી, ઘરમાં ઘૂસીને સોના-ચાંદીના દાગીના અને રોકડની લૂંટ ચલાવી હતી. આટલેથી ન અટકતા આરોપીઓએ પરિવારની દીકરી પર તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું અને પત્ની સાથે અડપલાં કર્યા હતા. ઘરની મહિલાઓને એક રૂમમાં પૂરી તાળું મારી દીધુંલૂંટ અને દુષ્કર્મ આચર્યા બાદ આરોપીઓએ ક્રૂરતાની હદ વટાવી હતી. તેમણે ફરિયાદી અને ઘરની મહિલાઓને એક રૂમમાં પૂરી દીધા હતા અને બહારથી તાળું મારી દીધું હતું જેથી કોઈ મદદ માટે બહાર ન નીકળી શકે. આ ઘટના બાદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, જેમાં બે આરોપીઓ તે સમયે પકડાયા હતા, પરંતુ સુનિલ કાળે પોલીસને થાપ આપી મહારાષ્ટ્ર નાસી ગયો હતો. સાંગલીના જંગલોમાં પોલીસે લોકલ વેશપલટો કરી આરોપીને દબોચ્યોઆરોપી મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના પાચવા મૈલ વિસ્તારના જંગલોમાં છુપાયો હોવાની ચોક્કસ બાતમી મળતા લિંબાયત પી.આઈ. સુમિતાની આગેવાનીમાં એક ટીમ રવાના કરવામાં આવી હતી. જંગલ વિસ્તાર હોવાથી અને આરોપી રીઢો હોવાથી પોલીસે ત્યાંના સ્થાનિક લોકો જેવો વેશ ધારણ કર્યો હતો. સતત પાંચ દિવસ સુધી ટીમે જંગલમાં વોચ ગોઠવી હતી જેથી આરોપીને જરા પણ શંકા ન જાય. મહારાષ્ટ્રમાં મર્ડર કરી 10 વર્ષની સજા કાપી બહાર આવ્યો હતોતપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે, સુરતથી ભાગ્યા પછી પણ આરોપીની ગુનાહિત પ્રવૃત્તિઓ અટકી નહોતી. તેણે મહારાષ્ટ્રના સાંગલીમાં પણ એક મર્ડર (કલમ 302) કર્યું હતું. આ મર્ડર કેસમાં તે 10 વર્ષની જેલની સજા કાપીને માત્ર 6 મહિના પહેલા જ બહાર આવ્યો હતો. જેલમાંથી છૂટ્યા બાદ તે ફરીથી છૂટક મજૂરીના બહાને પોતાની ઓળખ છુપાવીને રહેતો હતો. 2000 કલાકની મહેનતે આરોપીનું લોકેશન ટ્રેસ થયુંઆ ઓપરેશન અંગે માહિતી આપતા ડીસીપી કાનન દેસાઈએ જણાવ્યું કે, 26 વર્ષ જૂના આરોપીને પકડવો એ સૌથી મોટો પડકાર હતો. આશરે 20 પોલીસ જવાનોની ટીમ છેલ્લા દોઢ મહિનાથી દિવસ-રાત આ કેસ પર કામ કરી રહી હતી. અંદાજે 2,000 કલાકની મહેનત, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્ક બાદ આરોપીનું લોકેશન ટ્રેસ કરવામાં પોલીસને સફળતા મળી હતી. ઓળખ બદલાવી નાખી છતાં પોલીસથી ન બચી શક્યોસમયની સાથે આરોપીની ઉંમર હવે 60 વર્ષની આસપાસ થઈ ગઈ છે. 26 વર્ષમાં તેના શારીરિક દેખાવમાં મોટો બદલાવ આવ્યો હતો. ફેસ રેકગ્નિશન કરવું મુશ્કેલ હતું, પરંતુ પોલીસે તેની જૂની કડીઓ જોડીને અને તેના વતનમાં થતી હિલચાલ પર નજર રાખીને તેને ઓળખી કાઢ્યો હતો. આરોપી સુરત પોલીસના 'ટોપ-20' વોન્ટેડ લિસ્ટમાં સામેલ હતો. સુરત પોલીસ કમિશનરે 40,000નું ઈનામ જાહેર કર્યું હતુંઆરોપી સુનિલ કાળે એટલો ખતરનાક હતો કે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા તેના પર 40,000 રૂપિયાનું રોકડ ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસની આ સફળતાથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે કે ગમે તેટલા વર્ષો વીતી જાય, કાયદાના હાથ લાંબા હોય છે અને ગુનેગાર ક્યારેય બચી શકતો નથી. લિંબાયત પોલીસ મથકે નોંધાયેલા 3 ગંભીર ગુના પીડિત પરિવારને 26 વર્ષે ન્યાય મળ્યોઆ ધરપકડથી એ પીડિત પરિવારને આશ્વાસન મળ્યું છે જેમણે 26 વર્ષ પહેલા પોતાની દીકરી પર થયેલા અત્યાચારનું દુઃખ સહન કર્યું હતું. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે, જેથી તેની અન્ય ગુનાહિત કુંડળી પણ ખોલી શકાય.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 5:33 pm

મિડલ ઈસ્ટ મુદ્દે રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સર્વદળીય બેઠક શરૂ, વિદેશ નીતિ મુદ્દે કોંગ્રેસ આક્રમક, TMCએ કર્યો બહિષ્કાર

File Pic | Image Source: IANS All-Party Meeting: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે બુધવારે ભાજપ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર દલીલો જોવા મળી. કેન્દ્ર સરકાર તરફથી બેઠક બોલાવવાના નિર્ણયને લઈને કોંગ્રેસ અને સાથી પક્ષો દ્વારા 'મોડા લેવાયેલો નિર્ણય' ગણાવ્યો.

ગુજરાત સમાચાર 25 Mar 2026 5:29 pm

મધ્ય ગુજરાતમાં કોમર્શિયલ ગેસની અછત:કેટરિંગ એસોસિએશને પુરવઠા અધિકારીને રજૂઆત કરી

મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં છેલ્લા બે અઠવાડિયાથી કોમર્શિયલ રાંધણગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે. આ સમસ્યાને પગલે, સ્થાનિક કેટરિંગ એસોસિએશન દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ગેસ પુરવઠો પૂરો પાડવા માંગ કરવામાં આવી છે. કેટરિંગ એસોસિએશનના સભ્યોના જણાવ્યા અનુસાર, છેલ્લા 15 દિવસથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો પુરવઠો ન મળવાને કારણે કેટરિંગનો વ્યવસાય સંપૂર્ણપણે ઠપ્પ થવાની આરે છે. હાલમાં લગ્નગાળો અને અન્ય શુભ પ્રસંગોની સીઝન ચાલી રહી હોવાથી મોટા પ્રમાણમાં ઓર્ડર મળેલા છે. જોકે, ગેસના અભાવે આ ઓર્ડર પૂરા કરવા અશક્ય બન્યા છે. આ અછતની સીધી અસર માત્ર વ્યવસાયના માલિકો પર જ નહીં, પરંતુ આ ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો શ્રમિકોની રોજગારી પર પણ પડી છે. કોર્પોરેટ ઇવેન્ટ્સ અને સ્થાનિક પ્રસંગોના ઓર્ડર રદ થવાને કારણે રોજગારીનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કેટરિંગ એસોસિએશને કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો જથ્થો તાત્કાલિક ધોરણે ફાળવવાની માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 5:25 pm

જામનગરમાં 29 વિસ્તારોમાં 5 વર્ષ માટે અશાંતધારો લાગુ:મિલકતની તબદીલી માટે પ્રાંત અધિકારીની મંજૂરી ફરજિયાત

જામનગર શહેરમાં 29 જેટલા વિસ્તારોમાં આગામી પાંચ વર્ષ માટે અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. આ કાયદો 22 માર્ચ, 2031 સુધી અમલમાં રહેશે. આ અંગે જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે એક યાદીમાં જણાવ્યું હતું. અશાંતધારાના અમલને કારણે આ નિયત કરાયેલા વિસ્તારોમાં મિલકતની તબદીલી (વેચાણ, ભાડું વગેરે) માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને જામનગર શહેરના પ્રાંત અધિકારીની પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત રહેશે. આ જોગવાઈ ગુજરાત અશાંત વિસ્તાર ખાતેની મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંથી ભાડૂતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેના અધિનિયમ, 1991ની કલમ-4, 5 અને 5-(એ) હેઠળ કરવામાં આવી છે. આ કાયદા હેઠળ આવરી લેવાયેલા વિસ્તારોમાં સીટી સર્વે-1માં રાજગોર ફળી, ગણેશફળી, દેવબાગ, સમૃદ્ધિ એપાર્ટમેન્ટ, સુતરીયા ફળી, વઝીર ફળી, શત્રુખાના, ડેલી ફળી, વજુ કંદોઇની ડેલી, બારોટ ફળી, ટાંક ફળી, હવેલી શેરી, ધોરમ ફળી, સોની ફળી, મોટુ ફળી, દેહરા ફળી, વંડા ફળી, ખારા કૂવા, સોઢાનો ડેલો, પુનાતર ફળી, ઘોઘીનો ડેલો, વારીયાનો ડેલો, ભોઇવાડો, કુંભારવાડો, ખવાસ વાડો, કોલીવાડ, અણદાબાવાનો ચકલો અને નાગર ચકલોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સીટી સર્વે-2માં સમાવિષ્ટ પંચવટી વિસ્તાર પણ આ કાયદા હેઠળ આવશે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 5:24 pm

વડસ્મામાં પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા:મહેસાણા સેશન્સ કોર્ટનો ચુકાદો, પારિવારિક ઝઘડામાં દાતરડા અને ધોકા મારીને પતાવી દીધી'તી

મહેસાણા જિલ્લાના વડસ્મા ગામે થોડા સમય પૂર્વે બનેલી હૃદયદ્રાવક હત્યાની ઘટનામાં મહેસાણા સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. પારિવારિક ઝઘડામાં પોતાની જ પત્નીની ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર નરાધમ પતિ રમેશભાઈને કોર્ટે તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રૂપિયા 5000નો દંડ ફટકાર્યો છે. દાતરડા અને ધોકા મારીને પત્નીને પતાવી દીધી'તીવડસ્મા ગામે આરોપી રમેશભાઈએ સામાન્ય ઘરકંકાસમાં ઉશ્કેરાઈ જઈ પોતાની પત્ની મીનાબેન પર દાતરડા અને ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘાતકી હુમલામાં ગંભીર ઈજાઓ થવાને કારણે મીનાબેનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસ ફરિયાદ બાદ કેસ મહેસાણા સેશન્સ કોર્ટમાં ચાલવા ઉપર આવ્યો હતો. 35 દસ્તાવેજી પુરાવાઓ અને 14 સાક્ષીઓની તપાસ સુનાવણી દરમિયાન મહેસાણા સેશન્સ કોર્ટના જજ એ.એલ. વ્યાસ સમક્ષ સરકારી વકીલ ભરતકુમાર જી. પટેલે ધારદાર દલીલો રજૂ કરી હતી. પ્રબળ પુરાવાઓ અને સાક્ષીઓની જુબાનીના આધારે સરકારી વકીલે આરોપીને સખત સજા થાય તે માટે કોર્ટનું ધ્યાન દોર્યું હતું. સમગ્ર ટ્રાયલ દરમિયાન કોર્ટ સમક્ષ 35 જેટલા મહત્વના દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા અને કુલ 14 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. આજીવન કેદની સજા ને દંડ ફટકાર્યોકોર્ટે બંને પક્ષોની દલીલો અને રજૂ કરાયેલા પુરાવાઓને ગ્રાહ્ય રાખીને અવલોકન કર્યું હતું કે પત્નીની હત્યાનો ગુનો અત્યંત ગંભીર છે. પરિણામે આરોપી પતિ રમેશભાઈને આજીવન કેદની સજાનો આદેશ કરવામાં આવ્યો છે. આ ચુકાદાથી સમાજમાં દાખલો બેસે અને ગુનેગારોમાં કાયદાનો ડર રહે તેવો મહત્વનો નિર્ણય ન્યાયતંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 5:24 pm

IG નિર્લિપ્ત રાય જામનગર પહોંચ્યા:SP કચેરીએ ગુનાઓની સમીક્ષા, શાંતિ સમિતિને કડક સૂચના

રાજકોટ રેન્જના નવનિયુક્ત આઈ.જી. નિર્લિપ્ત રાયે જામનગર જિલ્લા પોલીસ વડા કચેરીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી ગુનાઓની કામગીરીની સમીક્ષા કરી હતી. એસ.પી. રવિ મોહન સૈની, એ.એસ.પી. પ્રતિભા અને ડી.વાય.એસ.પી. જયવીરસિંહ ઝાલા સહિતના અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. આઈ.જી. નિર્લિપ્ત રાયની અધ્યક્ષતામાં જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ડી.વાય.એસ.પી. કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. ત્યારબાદ, તેમણે વિવિધ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજી હતી. આ બેઠકમાં હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ, શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો અને વિવિધ જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય હેતુ શહેરમાં ભાઈચારો જળવાઈ રહે અને કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિને સ્થાન ન મળે તે સુનિશ્ચિત કરવાનો હતો. આઈ.જી. નિર્લિપ્ત રાયના આગમનથી શહેરના અસામાજિક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા શહેરના અનેક શંકાસ્પદ વ્યક્તિઓ અને અસામાજિક તત્વોને એસ.પી. કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી ગેરકાયદેસર ધંધા ચલાવનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 5:21 pm

દ્વારકામાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ:અફવાઓથી દૂર રહી શાંતિ જાળવવા DySPની અપીલ

તાજેતરમાં વૈશ્વિક પરિસ્થિતિને કારણે ઇંધણ અંગે વિવિધ અફવાઓ ફેલાઈ રહી છે. આના પગલે દ્વારકા જિલ્લામાં નાગરિકો ગભરાટમાં આવી બિનજરૂરી રીતે પેટ્રોલ પંપ પર લાઈનો લગાવી રહ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. આ પરિસ્થિતિને જોતા નાયબ પોલીસ અધિક્ષક વિસ્મય માનસતાએ જનતાને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. નાયબ પોલીસ અધિક્ષક માનસતાએ સ્પષ્ટતા કરી છે કે દ્વારકા જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ઇંધણ પુરવઠાની વ્યવસ્થા નિયમિત રીતે ચાલી રહી છે અને હાલ કોઈ પ્રકારની અછત કે પુરવઠામાં ખલેલ નથી. તેમણે નાગરિકોને ગભરાટમાં આવીને અનાવશ્યક રીતે પેટ્રોલ પંપ પર ભીડ ન કરવા અને દૈનિક ઉપયોગ મુજબ જ ઇંધણ ભરાવવા જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે કેટલાક અસામાજિક તત્વો દ્વારા સોશિયલ મીડિયા પર ખોટી માહિતી કે અફવાઓ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેનાથી સામાન્ય જનતામાં ગેરસમજ ફેલાઈ શકે છે. આવા સંદેશાઓને તપાસ્યા વગર આગળ મોકલવા કે તેના પર વિશ્વાસ કરવાને બદલે સત્તાવાર માહિતી પર જ ભરોસો રાખવા તેમણે અનુરોધ કર્યો છે. નાયબ પોલીસ અધિક્ષકે નાગરિકોને ખાતરી આપી છે કે પ્રશાસન અને સંબંધિત વિભાગો દ્વારા ઇંધણ પુરવઠા પર સતત નજર રાખવામાં આવી રહી છે. જરૂરિયાત મુજબ પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર પણ સતર્ક છે. અંતે, નાયબ પોલીસ અધિક્ષક વિસ્મય માનસતાએ તમામ નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ પ્રકારની અફવાઓથી દોરવાયા વગર શાંતિ જાળવે, અનાવશ્યક ભીડ ન કરે અને જવાબદાર નાગરિક તરીકે સહકાર આપે, જેથી દ્વારકા જિલ્લામાં વ્યવસ્થા અને સુચારુ પુરવઠો યથાવત્ રહી શકે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 5:19 pm

કપરાડામાં ટ્રક સળગાવવાનું નાટક ખુલ્લું પડ્યું:પ્લાસ્ટિકના દાણા વેચી પુરાવા નાશ કરવા આગ ચાંપી, બેની ધરપકડ

વલસાડ જિલ્લાના કપરાડામાં થોડા દિવસ અગાઉ ટ્રક સળગવાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ કોઈ અકસ્માત નહોતો, પરંતુ પ્લાસ્ટિકના દાણા બારોબાર વેચી દઈ પુરાવા નાશ કરવા માટે ટ્રકને જાણી જોઈને આગ ચાંપવામાં આવી હતી. આ મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા કપરાડાના કુંભઘાટ પાસે પ્લાસ્ટિકના દાણા ભરેલી એક ટ્રક રહસ્યમય સંજોગોમાં સળગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં કપરાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. શરૂઆતમાં ટ્રકના ડ્રાઇવરે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેની વાતોમાં શંકા જણાતા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ કોઈ અકસ્માત નહીં પણ પૂર્વ આયોજિત કાવતરું હતું. કંપનીમાંથી પ્લાસ્ટિકના દાણા ભરીને નીકળેલી ટ્રકમાંથી આરોપીઓએ 900 જેટલી બેગ રસ્તામાં જ બારોબાર વેચી મારી હતી. બાકી રહેલી થોડી બેગ સાથે ટ્રકને કુંભઘાટ પાસે લઈ જઈ સળગાવી દેવામાં આવી હતી. આરોપીઓનો ઇરાદો કંપની અને પોલીસને એવું દર્શાવવાનો હતો કે તમામ માલ આગમાં નાશ પામ્યો છે, જેથી તેમના કૌભાંડનો પર્દાફાશ ન થાય. કપરાડા પોલીસે આ મામલે સઘન તપાસ કરી મનીષ મિસ્ત્રી નામના શખ્સની ધરપકડ કરી છે. આ કૌભાંડમાં સામેલ અન્ય આરોપી કમલેશ સરસિયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે આ ટોળકીએ અગાઉ પણ આવા કોઈ ગુના કર્યા છે કે કેમ.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 5:17 pm

ચીખલીના મુખ્ય માર્ગ પર બે આખલાઓ બાખડ્યા:અડધા કલાક સુધી ટ્રાફિક જામ, સ્થાનિકોએ પાણી છાંટી છૂટા પાડ્યા

નવસારી જિલ્લાના ચીખલીમાં મુખ્ય માર્ગ પર બે આખલાઓ વચ્ચે હિંસક લડાઈ થઈ હતી. જૂની ટેલિફોન એક્સચેન્જ પાસે અડધા કલાક સુધી ચાલેલા આ યુદ્ધને કારણે ટ્રાફિક જામ થયો હતો અને વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આખલાઓ અચાનક સામસામે આવી ગયા હતા અને જોતજોતામાં તેમની વચ્ચે ભયાનક યુદ્ધ શરૂ થયું હતું. લડાઈ એટલી ઉગ્ર હતી કે માર્ગ રણમેદાનમાં ફેરવાઈ ગયો હતો. બંને આખલાઓના કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ લોહીલુહાણ થયા હતા. જાહેર માર્ગ પર આખલાઓ બાખડતા વાહનવ્યવહાર થંભી ગયો હતો. રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી હતી. આસપાસના દુકાનદારો અને રાહદારીઓ પણ પોતાની સુરક્ષા માટે સલામત સ્થળે ખસી ગયા હતા. સ્થાનિક લોકોએ હિંમત દાખવી આખલાઓ પર પાણીનો મારો ચલાવી તેમને છૂટા પાડ્યા હતા. આખલાઓ દૂર થતા જ અટવાયેલો ટ્રાફિક ધીમે ધીમે પૂર્વવત થયો હતો. સ્થાનિકોએ તંત્ર પાસે રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે તાત્કાલિક કડક પગલાં લેવાની માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 5:14 pm

હિંમતનગરમાં કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો:12 અરજદારોએ વિવિધ પ્રશ્નો રજૂ કર્યા; માર્ગદર્શન પૂરું પડાયું

હિંમતનગર, સાબરકાંઠા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નાગરિકો દ્વારા કુલ 12 જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારનો સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ છેલ્લા 20 વર્ષથી લોકશાહીને ધબકતી રાખી પ્રજાના કલ્યાણ માટે નિરંતર ચાલી રહ્યો છે. આ કાર્યક્રમ લોકો માટે એક આધારસ્તંભ બની ગયો છે. રજૂ કરાયેલા પ્રશ્નોમાં મુખ્યત્વે જમીનમાં દબાણ, ગામતળમાં પ્લોટની ફાળવણી, જમીનના 7/12 ઉતારામાં નામ સુધારા, જમીન માપણી, જમીન સર્વે નંબરમાં સુધારા, ગામમાં ગંદકી અને વીજ કનેક્શન સંબંધિત બાબતોનો સમાવેશ થતો હતો. કલેક્ટરે અરજદારોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી તેમના પ્રશ્નોનો ઝડપી નિકાલ આવે તે માટે સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો. તેમણે વહીવટી તંત્રના તમામ અમલીકરણ અધિકારીઓને લોકોના પ્રશ્નોને શાંતિથી સાંભળી યોગ્ય ઉકેલ લાવવાની દિશામાં કામગીરી કરવા પણ સૂચના આપી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, અધિક નિવાસી કલેક્ટર ક્રિષ્ના વાઘેલા, ડીવાયએસપી, તાલુકા વિકાસ અધિકારીઓ, અન્ય અમલીકરણ અધિકારીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 5:09 pm

વલ્લભ વિદ્યાનગરમાં ફાઇન આર્ટ્સ કોલેજોનો વાર્ષિક દિવસ:સી.વી.એમ. અને ઇપ્કોવાલા સંતરામ કોલેજે સંયુક્ત ઉજવણી કરી

વલ્લભ વિદ્યાનગર ખાતે સી.વી.એમ. કોલેજ ઑફ ફાઇન આર્ટ્સ અને ઇપ્કોવાલા સંતરામ કોલેજ ઑફ ફાઇન આર્ટ્સ દ્વારા સંયુક્ત વાર્ષિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સી.વી.એમ. કોલેજનો 14મો અને ઇપ્કોવાલા સંતરામ કોલેજનો 62મો વાર્ષિક દિવસ ઉજવાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ પરંપરાગત દીપ પ્રજ્વલન સાથે થયો હતો. ભીખુભાઈ પટેલ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે પ્રતિષ્ઠિત કલાકાર અને ડિઝાઇનર કુમાર ચૌહાણ અને વિશિષ્ટ અતિથિ તરીકે ડૉ. એસ. જી. પટેલ હાજર રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે કલા માત્ર અભ્યાસનો વિષય નથી, પરંતુ તે જીવનમાં સંવેદનશીલતા, સર્જનાત્મકતા અને નવી દ્રષ્ટિ પ્રદાન કરે છે. તેમણે વિદ્યાર્થીઓને કલા ક્ષેત્રમાં નવીનતા અને ઉત્તમતા હાંસલ કરવા પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા ચિત્રો અને ડિઝાઇન પ્રોજેક્ટ્સનું કલા પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનને ઉપસ્થિત મહાનુભાવો અને મુલાકાતીઓએ ખૂબ સરાહના કરી હતી. આ પ્રસંગે સંસ્થાના નિયામક કનુ પટેલ, આચાર્ય કિશોર નખરડીવાળા, કાર્યક્રમના સંયોજકો નિતેશ પટેલ, ડો. દીપક ભટ્ટ, રંજન ભોઈ, કાર્યક્રમ સંચાલિકા શાલિની સિંહ, પ્રદર્શન સંયોજિકા રિયલ કનેરિયા અને ઇતિ મહેતાએ આયોજનમાં યોગદાન આપ્યું હતું. પ્રસિદ્ધ સાહિત્યકારો મણિલાલ એચ. પટેલ, અશોકપુરી ગોસ્વામી અને પરેશ પ્રજાપતિ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના શિક્ષક મંડળ અને વિદ્યાર્થીઓના સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ થયું. મોટી સંખ્યામાં મહેમાનો, વિદ્યાર્થીઓ અને કલાપ્રેમીઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ ઉજવણી દ્વારા સંસ્થાએ કલા ક્ષેત્રમાં પોતાની ઓળખ અને સર્જનાત્મક પરંપરાને ફરી એકવાર પ્રદર્શિત કરી.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 5:08 pm

GJPIASR માં મહર્ષિ ચરક સંસ્કૃત સમારોહ યોજાયો:ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને CVM યુનિવર્સિટી દ્વારા દ્વિ-દિવસીય આયોજન

ન્યૂ વલ્લભ વિદ્યાનગર સ્થિત જી. જે. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક સ્ટડીઝ એન્ડ રિસર્ચ (GJPIASR) નાં સંહિતા સિદ્ધાંત અને સંસ્કૃત વિભાગ દ્વારા 20-21 માર્ચ, 2026 ના રોજ દ્વિ-દિવસીય અખિલ ભારતીય મહર્ષિ ચરક સંસ્કૃત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર અને CVM યુનિવર્સિટી, વિદ્યાનગરના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ કાર્યક્રમનાં ઉદ્ઘાટન સમારોહમાં આયુષ મંત્રાલયનાં NCISM ના અધ્યક્ષ ડૉ. મનીષાબેન, MARBISM બોર્ડનાં પ્રમુખ ડૉ. મુકુલ પટેલ, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડનાં અધ્યક્ષ હિમાંજય પાલીવાલ અને CVM યુનિવર્સિટીના પ્રમુખ એન્જિનિયર ભીખુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. દ્વિ-દિવસીય કાર્યક્રમમાં મહર્ષિ ચરક નિર્મિત ચરક સંહિતા પર પ્રો.ડૉ. એસ.કે.ખાંડેલ, પ્રો.ડૉ. શ્રીવત્સ, પ્રો.ડૉ. મહેશ વ્યાસ, પ્રો.ડૉ. એસ.એન.ગુપ્તા, પ્રો. વૈદ્ય તપનકુમાર, પ્રો.ડૉ. હિતેશ વ્યાસ અને પ્રો.ડૉ. અભિજીત સરાફ સહિતના પ્રસિદ્ધ વૈદ્યો દ્વારા વ્યાખ્યાનો આપવામાં આવ્યા હતા. આ સમારોહમાં 250 જેટલા લોકોએ પેપર, પોસ્ટર અને શોર્ટ-ફિલ્મમાં ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન આયુર્વેદનાં સારભૂત અને નિત્ય જીવનલક્ષી બાબતો રજૂ કરતી 'સ્વાસ્થ્યમંજરી' નામની પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, આયુર્વેદના વિભિન્ન વિભાગો દ્વારા પ્રદર્શની અને મફત નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનાં સમાપન સમારોહમાં સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડૉ. નિરંજન પટેલ અને CVM યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડૉ. ઇન્દ્રજીત પટેલના વરદહસ્તે વિજેતા પ્રતિભાગીઓને સર્ટિફિકેટ, સ્મૃતિચિહ્ન તેમજ રોકડ ઇનામ પ્રદાન કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ CVM યુનિવર્સિટીના મેડિકલ આયુષ ડાયરેક્ટર પ્રો.ડૉ. આર.ડી.પટેલ, એસ.જી.પટેલ આયુર્વેદ હોસ્પિટલના સંચાલક કીર્તિબેન પટેલ અને જી.જે.પી.આઈ.એ.એસ.આર.ના આચાર્ય પ્રો.ડૉ. સરિતા ભુતડાના માર્ગદર્શન હેઠળ, તેમજ સંહિતા સિદ્ધાંત અને સંસ્કૃત વિભાગનાં અધ્યક્ષ પ્રો.ડૉ. રિતેશ ગુજરાથી દ્વારા સુચારુરૂપે સંચાલિત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 5:07 pm

બોટાદમાં AAP એ સ્થાનિક સ્વરાજ્યના ઉમેદવારો જાહેર કર્યા:ઉમેદવારોએ દેવદર્શન કરી કાર્યકરો સાથે સંવાદ કર્યો

બોટાદ જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP) એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ જાહેરાત બાદ પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. AAP દ્વારા બોટાદ જિલ્લા પંચાયતની ચાર બેઠકો અને તાલુકા પંચાયતની બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતની ભીમદાડ બેઠક પર પરસોતમભાઈ રાઠોડ, કાનીયાડ બેઠક પર મંજુબેન ભુપતભાઈ જમોડ, નિગાળા બેઠક પર મમતાબેન બાવળીયા અને વાવડી બેઠક પર પૂરણબેન ડાભીના નામની જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારોના નામ જાહેર થયા બાદ, AAP ના જિલ્લા પ્રમુખ પરસોત્તમભાઈ રાઠોડ, તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ સાટીયા અને ભુપતભાઈ ડાભી સહિતના ઉમેદવારોએ હડદડ ગામે કુલદેવી ચામુંડા માતાજીના દર્શન કર્યા હતા. અહીં તેમણે કાર્યકર્તાઓ સાથે સંવાદ પણ કર્યો હતો. આ પછી, તરઘરા ગામે સિકોતર ધામ ખાતે સિકોતર માતાના દર્શન કરીને આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયતના ઉમેદવારોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાનીયાડ ખાતે ઝાંપડાદાદાના દર્શન કરવામાં આવ્યા હતા. અહીં કાર્યકર્તાઓ સાથે બેઠક યોજીને આગામી ચૂંટણીની રણનીતિ અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં બોટાદ આમ આદમી પાર્ટીના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે એકતા અને જીતના સંકલ્પ સાથે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 5:06 pm

બોટાદનું કૃષ્ણસાગર તળાવ ₹10 કરોડના ખર્ચે વિકસાવાશે:ધારાસભ્ય ઉમેશ મકવાણાની રજૂઆત બાદ બજેટમાં જોગવાઈ

બોટાદના કૃષ્ણસાગર તળાવને ફરવાલાયક સ્થળ તરીકે વિકસાવવા માટે રાજ્યના બજેટમાં ₹10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાની વિધાનસભામાં રજૂઆત બાદ નાણા મંત્રીએ આ જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટથી બોટાદની જનતાને આધુનિક સુવિધાઓ સાથેનું મનોરંજન સ્થળ મળશે. ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વિધાનસભામાં વિનિયોગ વિધાયક નિયમ 238 અન્વયે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું કે બોટાદ શહેરની મધ્યમાં આવેલું કૃષ્ણસાગર તળાવ મહારાજા કૃષ્ણકુમારસિંહજી દ્વારા બનાવવામાં આવ્યું હતું. બોટાદની અંદાજે 4 થી 5 લાખની વસ્તીને ધ્યાનમાં રાખીને આ તળાવને ફરવાલાયક સ્થળ બનાવવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો. ધારાસભ્ય ઉમેશ મકવાણાએ અમદાવાદના કાંકરિયા તળાવ અને અન્ય મહાનગરોના તળાવોની જેમ કૃષ્ણસાગર તળાવને વિકસાવવાનું સૂચન કર્યું હતું. તેમણે ફૂડ ઝોન, ગેમ ઝોન, એડવેન્ચર પાર્ક, સ્પોર્ટ્સ સુવિધાઓ, વોક વે અને ચિલ્ડ્રન પાર્ક જેવી સુવિધાઓ ઉમેરવાની ભલામણ કરી હતી, જેથી બોટાદના લોકોને આધુનિક મનોરંજનનો લાભ મળી શકે. આ રજૂઆત બાદ નાણા મંત્રીએ વિધાનસભા ગૃહમાં 2026ના બજેટમાં બોટાદના કૃષ્ણસાગર તળાવને ₹10 કરોડના ખર્ચે વિકસાવવાની જોગવાઈની જાહેરાત કરી હતી. હાલ આ કામગીરી ડીપીઆર (ડિટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ) સ્તરે ચાલી રહી છે. ટૂંક સમયમાં જ બોટાદનું કૃષ્ણસાગર તળાવ ફૂડ ઝોન, ગેમ ઝોન, એડવેન્ચર પાર્ક, સ્પોર્ટ્સ સુવિધાઓ, વોક વે અને ચિલ્ડ્રન પાર્ક જેવી સુવિધાઓ સાથે લોકો માટે ફરવાલાયક સ્થળ બની રહેશે. આ સમગ્ર માહિતી ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 5:03 pm

વડોદરાને સ્વચ્છ,સુંદર અને ટ્રાફિકમુક્ત કરવા 'વન ડે વન રોડ' અભિયાન:મ્યુ. કોર્પોરેશનનો કાફલો ગંદકીના ઢગને દૂર કરવા રસ્તે ઊતર્યો, કચરાના ઢગલાઓ જોઈને કમિશનર થયા હતા નારાજ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા પર ભાર મુકવામાં આવ્યો છે. શહેરને સ્વચ્છ બનાવવા માટેના વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે . શહેરીજનોમાં પણ સ્વચ્છતા આદત બની જાય તે માટે જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ મહાનગરપાલિકાએ વન ડે વન રોડ અભિયાન શરુ કર્યું છે. અભિયાન અંતર્ગત ઉમા ચાર રસ્તાથી પાણીગેટનો મુખ્ય માર્ગ લેવાયોવડોદરા શહેરને સ્વચ્છ, સુંદર અને ટ્રાફિકમુક્ત બનાવવાના હેતુ સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આક્રમક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ કવાયતના ભાગરૂપે, મ્યુનિસિપલ કમિશનરની સીધી દેખરેખ હેઠળ પૂર્વ ઝોનમાં વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.વોર્ડ નંબર-15માં સમાવિષ્ટ ઉમા ચાર રસ્તાથી પાણીગેટ સુધીના મુખ્ય માર્ગ પર ‘વન ડે વન રોડ’ અભિયાન અંતર્ગત વ્યાપક કામગીરી કરવામાં આવી હતી. રસ્તાઓ પર થતા ગેરકાયદેસર દબાણોને દૂર કરી વાહનવ્યવહારને અડચણ ઉભી ન થાય તેમજ શહેરની આંતરિક સફાઈ વ્યવસ્થાને વધુ મજબૂત થાય તે ઉદ્દેશ્યથી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કમિશનર અરુણ મહેશ બાબુએ પોતે સ્થળ પર હાજર રહીને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. પૂરજોશમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવીઆ ઝુંબેશ દરમિયાન રસ્તાઓની સાફ-સફાઈ, રોડ ડિવાઈડરો પર જામેલી ધૂળ અને કચરાનો નિકાલ તેમજ ફૂટપાથ પરના નડતરરૂપ દબાણોને JCB મશીનોની મદદથી દૂર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પૂર્વ ઝોનના વોર્ડ ઓફિસર, પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનો મોટો કાફલો હાજર રહ્યો હતો. માર્ગ પર ઉગી નીકળેલા બિનજરૂરી ઘાસ અને કચરાના ઢગલાઓ જોઈને કમિશનરે નારાજગી વ્યક્ત કરી હતી અને અધિકારીઓને સત્વરે સફાઈ કામગીરી પૂર્ણ કરવા આદેશ આપ્યા હતા. કેટલાક વિસ્તારોમાં ડિવાઈડરની સફાઈમાં જોવા મળેલી બેદરકારી અંગે પણ કમિશનરે કડક નોંધ લીધી હતી અને જવાબદારોને તાકીદ કરી હતી. નાગરિકોને સારી સુવિધા મળે તે પાલિકા માટે પ્રાથમિકતામ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, શહેરના નાગરિકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવી એ પાલિકાની પ્રાથમિકતા છે. તેઓએ જણાવ્યું કે, ગેરકાયદેસર દબાણ કરનારાઓ સામે લાલ આંખ કરવામાં આવશે. જો એકવાર દબાણ હટાવ્યા બાદ ફરીથી ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થશે, તો પાલિકા તંત્ર ફરીથી ત્રાટકશે અને કડક દંડનીય કાર્યવાહી કરશે. કમિશનરે નાગરિકોને પણ અપીલ કરી હતી કે તેઓ શહેરની સ્વચ્છતામાં સહભાગી બને અને જાહેર માર્ગો પર દબાણ ન કરે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 5:02 pm

ગુજકેટની પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડનો એક્શન પ્લાન જાહેર:ધો-12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે 29મીએ ગુજકેટની પરીક્ષા, 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ 2026ની પરીક્ષા યોજાશે. આગામી 29 તારીખે ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ-2026 લેવામાં આવશે. જે માટે ગુજરાત બોર્ડ દ્વારા ખાસ એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ વિશ્વાસપૂર્વક અને સારા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટેનું તમામ આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા કામગીરીના જાણકાર હોય એવા વર્ગ-2ના અધિકારીની ઝોનલ અધિકારી તરીકે નિમણૂક કરવાની પણ સૂચના બોર્ડ દ્વારા આપવામાં આવી છે. 29 તારીખે ગુજકેટની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ પછી ડિગ્રી એન્જિનિયરિંગ, ફાર્મસી અને મેડિકલ ફેકલ્ટીમાં પ્રવેશ લેવા માટે કોમન એન્ટરન્સ ટેસ્ટ લેવાનું આયોજન કરવામાં આવતું હોય છે. જેથી, આ વર્ષે પણ બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આગામી 29 તારીખે ગુજકેટની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત બોર્ડ દ્વારા એક્શન પ્લાન જાહેર કરી તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને તેનું પાલન કરવા માટેની સૂચના પણ આપવામાં આવી છે. ગુજકેટ-2026 માટે 36 ઝોનની રચના કરવામાં આવી છે. જે માટે 668 પરીક્ષા સ્થળો પર એક લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. પરીક્ષામાં ગેરરીતિ થતી અટકાવવા માટે CCTVની ચાંપતી નજર રહેશેજેથી, પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થાય તે માટે ગુજરાત બોર્ડ દ્વારા ખાસ એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવેલો છે. પરીક્ષામાં ગેરરીતિ થતી અટકાવવા CCTV કેમેરા હેઠળ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગરમીનું પ્રમાણ વધુ હોવાથી પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા અને આરોગ્ય ટીમ પણ તમામ પરીક્ષા કેન્દ્ર પર રાખવાની અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારીએ સૂચના આપી છે. ઝોનલ કચેરીઓ પરીક્ષાસ્થળોથી મધ્યમાં રાખવાની રહેશેપરીક્ષાસ્થળો પર સતત સીધી દેખરેખ રાખવા માટે ઝોન કચેરીની વ્યવસ્થા કરવામાં આવી છે. ઝોનની કચેરીએથી OMR/ પ્રશ્નપત્રો પરીક્ષાસ્થળ સુધી પહોંચાડવા માટે બોર્ડ દ્વારા વાહનની પૂરતી વ્યવસ્થા પણ કરાઈ છે. પ્રશ્નપત્રો તેમજ OMR ઉત્તરપત્રિકા ખાનગી રેકોર્ડ ગણાશે. ઝોનલ કચેરીઓ જિલ્લાના અને રાજ્યના કંટ્રોલરૂમ સાથે સતત સંપર્કમાં રહેશે. ઝોનલ કચેરીએથી પરીક્ષાને લગતું ખાનગી સાહિત્ય દરેક પરીક્ષાસ્થળ પર સરકારી પ્રતિનિધિ મારફતે મોકલવામાં આવશે અને બોર્ડની સૂચના મુજબ પરત મેળવશે. ઝોનલ કચેરી પરીક્ષાસ્થળોથી મધ્યમાં રાખવાની રહેશે. પરીક્ષા કામગીરીના જાણકાર હોય એવા ક્લાસ-2ના અધિકારીની ઝોનલ અધિકારી તરીકે નિમણૂક કરવાની પણ સૂચના બોર્ડ દ્વારા આપવામાં આવી છે. 27થી 29 તારીખ સુધી કંટ્રોલ રૂમ ચાલુ રાખવાની સૂચના આપવામાં આવી છેગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ખાતે રાજ્યકક્ષાનો રાઉન્ડ ધ ક્લોક ચાલતો સ્ટેટ કંટ્રોલરૂમ પણ કાર્યરત રહેશે. આગામી 28 તારીખથી રાજ્યકક્ષાનો સ્ટેટ કંટ્રોલરૂમ કાર્યરત થશે. તે માટે રાજ્યના તમામ જિલ્લાઓ સીધો સંપર્ક કરી અને સંકલન કરી શકશે તેમજ તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં પણ જિલ્લા કંટ્રોલરૂમ 27 તારીખથી શરૂ થશે. 27થી 29 તારીખ સુધી કંટ્રોલ રૂમ ચાલુ રાખવાની સૂચના આપવામાં આવી છે. કંટ્રોલરૂમ સવારે 7 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી કાર્યરત રહેશે. જ્યાંથી વિદ્યાર્થીઓ વાલીઓને અને શાળાઓને માર્ગદર્શન આપવામાં આવશે. જે માટે ઝોનના ઝોનલ અધિકારીની પણ નિમણૂક કરવામાં આવી છે. તેમજ પરીક્ષાનો ડર દૂર કરવા માટે કાઉન્સિલિંગ કેન્દ્ર પણ ચાલુ રહેશે. અમદાવાદ શહેરના 59 જેટલા બિલ્ડિંગમાં પરીક્ષા લેવાનું આયોજન કરાયું અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, એન્જિનિયરિંગ અને પેરામેડિકલના પ્રવેશ માટે લેવામાં આવતી ગુજકેટની પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરાયેલા એક્શન પ્લાનના આધારે જિલ્લા સ્તરે પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. અમદાવાદ શહેરના 59 જેટલા બિલ્ડિંગમાં પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે. જે માટે કેન્દ્ર સંચાલકોની મીટીંગ યોજીને તેમણે તાલીમ પણ આપવામાં આવી છે. ગરમી હોવાથી તમામ પરીક્ષા કેન્દ્ર પર પૂરતા પીવાના પાણીની વ્યવસ્થા કરવા અને આરોગ્ય ટીમ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 4:57 pm

GATE 2026માં પારૂલ યુનિવર્સિટીનો દબદબો, 69 સફળ:વડોદરાના 9 તેજસ્વી સિતારાઓએ ઓલ ઈન્ડિયા ટોપ 1000 રેન્કમાં મેળવ્યું સ્થાન

વડોદરાની ખ્યાતનામ પારૂલ યુનિવર્સિટીએ GATE 2026ની પરીક્ષામાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી શિક્ષણ જગતમાં પોતાનું નામ રોશન કર્યું છે. આ અત્યંત સ્પર્ધાત્મક પરીક્ષામાં યુનિવર્સિટીના કુલ 69 વિદ્યાર્થીઓ ક્વોલિફાઇ થયા છે, જે સંસ્થાના ક્વોલિટી એજ્યુકેશન અને સચોટ માર્ગદર્શનની સાક્ષી પૂરે છે. ટોપ 1000માં 9 વિદ્યાર્થીઓનો સમાવેશઆ વર્ષે ઓલ ઇન્ડિયા લેવલે ટોપ 1000માં સ્થાન મેળવીને 9 વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે. એરોનોટિકલ એન્જિનિયરિંગમાં આદિત્ય પુમ્ભાડિયા (AIR 224), ધ્રુવ વ્રજલાલ અંબાલિયા (AIR 279), જય પંચાલ (AIR 715), દિશા કાર્વા (AIR 715), જય ઠાકર (AIR 745), નકુલ બિયાની (AIR 785) અને વૈભવ વસાણી (AIR 949) એ શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. આ ઉપરાંત પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાં આદર્શ મિશ્રાએ AIR 383 અને કમ્પ્યુટર સાયન્સમાં જય લક્કડે AIR 861 રેન્ક હાંસલ કર્યો છે. કોમ્પિટિટિવ એક્ઝામિનેશન સેલનું યોગદાનવિદ્યાર્થીઓની આ સફળતા પાછળ યુનિવર્સિટીના સ્પેશિયલ 'કોમ્પિટિટિવ એક્ઝામિનેશન સેલ'નો મોટો ફાળો રહ્યો છે. અહીં વિદ્યાર્થીઓને 1 અને 2 વર્ષના સ્પેશિયલ કોચિંગ પ્રોગ્રામ્સ તેમજ નિયમિત કરિયર કાઉન્સિલિંગ આપવામાં આવે છે. ખાસ કરીને GATE 2026 માટે આયોજિત વિનામૂલ્યે ક્રેશ કોર્સે અંતિમ સમયની તૈયારીઓમાં વિદ્યાર્થીઓને ખૂબ જ મદદ કરી હતી. પ્રેસિડેન્ટનો સંદેશઆ સફળતા બદલ ખુશી વ્યક્ત કરતાં યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડો. દેવાંશુ પટેલે જણાવ્યું હતું કે, આ પરિણામ વિદ્યાર્થીઓના સમર્પણ અને સુઆયોજિત મહેનતનું ફળ છે. અમારું લક્ષ્ય હંમેશા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ સંસાધનો અને માર્ગદર્શન પૂરું પાડી તેમને વૈશ્વિક સ્તરે સ્પર્ધા માટે તૈયાર કરવાનું છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 4:50 pm

વેજલપુર ઝાયડસ સ્કૂલમાં 'ZyShow'ની ધૂમ:માટીકામથી લઈ રોબોટિક્સ સુધીની સર્જનાત્મક કૃતિઓએ વાલીઓને મંત્રમુગ્ધ કર્યા

અમદાવાદના વેજલપુર સ્થિત ઝાયડસ સ્કૂલ ફોર એક્સેલન્સ ખાતે તાજેતરમાં 24 અને 25 માર્ચના રોજ વાર્ષિક પ્રદર્શન 'ZyShow'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ બે દિવસીય કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ અભ્યાસની સાથે સાથે કેળવેલા વિવિધ જીવન કૌશલ્યો અને તેમની આંતરિક સર્જનાત્મકતાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. શાળાના આ પ્રદર્શને સાબિત કરી દીધું કે શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું મર્યાદિત નથી, પરંતુ પ્રાયોગિક જ્ઞાન અને કૌશલ્ય વિકાસ એ આજના સમયની માંગ છે. હસ્તકલા અને આંતરિક સુશોભનમાં વિદ્યાર્થીઓની નિપુણતાપ્રદર્શનમાં મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણ નીડલવર્ક અને ક્રોશેટ-મેક્રેમ ક્લબની કૃતિઓ રહી હતી. વિદ્યાર્થીઓએ પોતાના હાથે બનાવેલા મોજાં, ભરતકામ કરેલા ઓશીકા, ગાદીના કવર, અને પેચવર્ક વોલ હેંગિંગ્સ રજૂ કર્યા હતા. આ ઉપરાંત, ક્રોશેટ વર્ક દ્વારા તૈયાર કરાયેલી કાનની બુટ્ટીઓ, હેર ક્લિપ્સ અને ટેબલ મેટ્સ જોઈને મહેમાનો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આંતરિક સુશોભન વિભાગમાં પોટ આર્ટ અને થ્રેડવર્ક દ્વારા વિદ્યાર્થીઓએ તેમની કલાત્મક દ્રષ્ટિનો પરિચય આપ્યો હતો. લાકડાની બનાવટો અને માટીકામનું અદભૂત પ્રદર્શનશાળાના વિદ્યાર્થીઓએ કાર્પેન્ટ્રી કૌશલ્યનો ઉપયોગ કરીને રોજિંદા જીવનમાં ઉપયોગી એવી ચીજવસ્તુઓ જેવી કે શૂ-રેક, રાઈટિંગ ટેબલ, ફ્રૂટ બાસ્કેટ અને પક્ષીઓ માટેના સુંદર ઘર તૈયાર કર્યા હતા. માટીકામ વિભાગમાં સિરામિક ગ્લેઝિંગ અને માટીના પરંપરાગત વાસણોએ જૂની કળાને જીવંત કરી હતી. આ પ્રદર્શનો દર્શાવે છે કે વિદ્યાર્થીઓ શ્રમનું મૂલ્ય અને રચનાત્મકતા બંને શીખી રહ્યા છે. પર્યાવરણ જાળવણી અને વિજ્ઞાન પ્રત્યે અભિગમબાગકામ વિભાગમાં વિદ્યાર્થીઓએ વિવિધ ઔષધીય છોડ અને મોસમી ફૂલોનું પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને, શાળાના ઓર્ગેનિક કચરામાંથી ખાતર બનાવવાની પ્રક્રિયા અને ખાતરના ખાડા વિશેની માહિતીએ પર્યાવરણ પ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું હતું. સાયન્સ ક્લબમાં વિદ્યાર્થીઓએ વિજ્ઞાનના સિદ્ધાંતો પર આધારિત વર્કિંગ અને નોન-વર્કિંગ મોડેલ્સ રજૂ કરી પોતાની વૈજ્ઞાનિક સૂઝબૂઝનો પરચો આપ્યો હતો. મનોરંજન અને સ્વાદનો સંગમકાર્યક્રમમાં માત્ર પ્રદર્શનો જ નહીં, પરંતુ જીવંત રજૂઆતો પણ કરવામાં આવી હતી. વક્તૃત્વ, નૃત્ય, નાટક અને સંગીત ક્લબના વિદ્યાર્થીઓએ સ્ટેજ પર પોતાની પ્રતિભા દર્શાવી વાતાવરણને ઉત્સાહથી ભરી દીધું હતું. બીજી તરફ, 'નોન-ફાયર કુકિંગ' ક્લબ દ્વારા તૈયાર કરવામાં આવેલી સ્વાદિષ્ટ વાનગીઓએ મુલાકાતીઓના દિલ જીતી લીધા હતા. આ ઉપરાંત આઈટી, ક્વિઝ અને લીડરશીપ ક્લબ દ્વારા ઇન્ટરેક્ટિવ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા. આ સફળ આયોજનમાં મોટી સંખ્યામાં વાલીઓ અને મહેમાનોએ હાજરી આપી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. શાળાના આ નવતર પ્રયોગની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 4:40 pm

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં IT-ITeS યોજનાઓ પર માર્ગદર્શન:વિદ્યાર્થીઓ અને સ્ટાફને સરકારી સહાયની માહિતી અપાઈ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની લાયબ્રેરી દ્વારા તાજેતરમાં વિદ્યાર્થીઓ અને બિન-શૈક્ષણિક સ્ટાફ માટે ગુજરાત સરકારની IT (ઇન્ફોર્મેશન ટેકનોલોજી) અને ITeS (IT ઇનેબલ્ડ સર્વિસીસ) ક્ષેત્રની વિવિધ કલ્યાણકારી યોજનાઓથી માહિતગાર કરવા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત ઈશ્વર પ્રાર્થનાથી થઈ હતી. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડો. કે. સી. પોરીયા, IQAC ડાયરેક્ટર ડો. સંગીતાબેન શર્મા અને અન્ય મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય વક્તા અને નોડલ ઓફિસર કનકબાલા જાનીએ ગુજરાત સરકારની IT નીતિ અને તેના અંતર્ગત મળતી વિવિધ સહાયો અને યોજનાઓ વિશે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેમણે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ ક્ષેત્રમાં રહેલી કારકિર્દીની તકો અને સરકારી પ્રોત્સાહન વિશે ઊંડાણપૂર્વક સમજ આપી હતી. IQAC ડાયરેક્ટર ડો. સંગીતાબેન શર્માએ શિક્ષણ અને ગુણવત્તાના વિકાસમાં ટેકનોલોજીના મહત્વ પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી કુલપતિ ડો. કે. સી. પોરીયાએ પ્રેરણાદાયી ઉદબોધન આપતા જણાવ્યું હતું કે, બદલાતા સમય સાથે નવી ટેકનોલોજી અપનાવવી અનિવાર્ય છે અને વિદ્યાર્થીઓએ સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવો જોઈએ. કાર્યક્રમના અંતે આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. જયેશકુમાર મોદી દ્વારા વીડિયો પ્રસારણના માધ્યમથી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ શ્રી કનકબાલા જાની દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા અને ઉપયોગી માર્ગદર્શન મેળવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 4:38 pm

સાવકા પિતાએ 13 વર્ષની દીકરીને 5 મહિના સુધી પીંખી:સગીરાની એકલતાનો લાભ લઈ બળજબરી દુષ્કર્મ ગુજારતો, આપવીતી જાણી માતાના પગ નીચેથી જમીન સરકી; આરોપીની ધરપકડ

સુરતના કતારગામ વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે, જ્યાં એક સાવકા પિતાએ પોતાની જ 13 વર્ષની સગીર દીકરી પર પાંચ મહિના સુધી બળાત્કાર ગુજાર્યો હોવાની વિગતો બહાર આવી છે. આ ગંભીર મામલે કતારગામ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાંચ મહિના સગીર દીકરીને હવસનો શિકાર બનાવીસુરત શહેરમાં ગુનાખોરીની ઘટનાઓ વચ્ચે સંબંધોને કલંકિત કરતી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના કતારગામ વિસ્તારમાંથી પ્રકાશમાં આવી છે. આશ્રય આપનાર પિતા જ જ્યારે ભક્ષક બને ત્યારે સમાજ માટે તે ચિંતાનો વિષય બની જાય છે. કતારગામમાં એક સાવકા પિતાએ છેલ્લા પાંચ મહિનાથી પોતાની સગીર દીકરીને હવસનો શિકાર બનાવી હતી. લગ્નની લાલચ આપી મહિલાને દીકરી સાથે અપનાવીમળતી વિગતો અનુસાર, કતારગામ વિસ્તારમાં રહેતી એક મહિલાના 2010માં છૂટાછેડા થયા હતા. ત્યારબાદ 2012માં રેલવે સ્ટેશન પર સફાઈ કામ કરતી વખતે આ મહિલાનો સંપર્ક લારી ચલાવતા એક યુવક સાથે થયો હતો. આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી અને યુવકે લગ્નની લાલચ આપી મહિલાને તેની દીકરી સાથે અપનાવી હતી. ત્યારથી તેઓ પરિવાર તરીકે સાથે રહેતા હતા. સગીર દીકરી પર પાંચ મહિના સુધી આચર્યું દુષ્કર્મછેલ્લા પાંચ મહિના દરમિયાન, જ્યારે ઘરમાં કોઈ ન હોય ત્યારે આરોપી સાવકા પિતાએ 13 વર્ષની સગીરાની એકલતાનો લાભ લીધો હતો. તેણે સગીરા પર બળજબરીથી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં, આ આરોપીએ માસૂમ દીકરીને ધમકી આપી હતી કે જો તે આ વાતની જાણ કોઈને કરશે, તો તેને જાનથી મારી નાખવામાં આવશે. અંતે કંટાળી સગીરાએ માતાને હકીકત જણાવીપિતાની ધમકીથી ફફડી ગયેલી સગીરા શરૂઆતમાં કંઈ બોલી શકી ન હતી, પરંતુ સતત થતા શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને આખરે તેણે હિંમત ભેગી કરી ગતરોજ પોતાની માતાને આપવીતી જણાવી હતી. દીકરીની વાત સાંભળી માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. માતા તુરંત જ દીકરીને લઈને કતારગામ પોલીસ મથકે પહોંચી હતી. ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યોકતારગામ પોલીસે આ મામલાની ગંભીરતા સમજીને તુરંત જ ગુનો દાખલ કર્યો હતો. સાવકા પિતા સામે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ભોગ બનનાર સગીરાને મેડિકલ તપાસ માટે મોકલી આપવામાં આવી છે અને પોલીસ વધુ પુરાવા એકત્ર કરી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સગીરાઓની સુરક્ષા માટે પરિવારે પણ જાગૃત રહેવું કેટલું અનિવાર્ય છે. આ સમાચાર પણ વાંચો નવસારીમાં સાવકા બાપે બે સગીર દીકરીને ગર્ભવતી બનાવીનવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી હતી. રક્ષક જ ભક્ષક બન્યો હોય તેમ, એક પાખંડી સાવકા પિતાએ પોતાની જ બે સગીર વયની દીકરીઓ સાથે વારંવાર દુષ્કર્મ આચરી તેમને ગર્ભવતી બનાવી હોવાની ચોંકાવનારી વિગતો પોલીસ ફરિયાદમાં સામે આવી છે. પેટના દુખાવાએ ખોલ્યો પાપનો ઘડોઆ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે શ્રમિક પરિવારની નાની દીકરીને અચાનક પેટમાં અસહ્ય દુ:ખાવો ઉપડ્યો હતો. માતા-પિતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તબીબી તપાસ દરમિયાન ડોક્ટરે દીકરી ગર્ભવતી હોવાની શંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ ખારેલની હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવતા નિષ્ણાતોએ પુષ્ટિ કરી કે સગીરાને પાંચ માસનો ગર્ભ છે. આ સાંભળીને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. વાંચો સંપૂર્ણ સમાચાર

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 4:37 pm

તુરખેડામાં રસ્તાના અભાવે પ્રસૂતાનું મોત:જાહેરાત છતાં રસ્તા ન બનતા ગ્રામજનોમાં રોષ, ચૂંટણી બહિષ્કારની ચીમકી

છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામમાં રસ્તાના અભાવે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આઝાદીના 78 વર્ષ બાદ પણ ગામમાં પાકા રસ્તા, પાણી, આરોગ્ય અને શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધાઓ પહોંચી નથી. અગાઉ રસ્તાના અભાવે એક પ્રસૂતા મહિલાનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ તંત્ર દ્વારા ગામમાં રસ્તા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી આ જાહેરાત માત્ર કાગળ પર જ રહી છે અને રસ્તા બન્યા નથી. ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે નર્મદા નદી કિનારે આવેલું તુરખેડા ગામ 2000થી વધુ વસ્તી ધરાવે છે. ગામ સુધી પહોંચવાનો રસ્તો અત્યંત ખરાબ હાલતમાં છે, જ્યાં મોટા પથ્થરો હોવાથી વાહનોના ટાયર ફાટી જવાનો ભય રહે છે. ગામમાં પહોંચ્યા પછી પણ આંતરિક રસ્તાઓના અભાવે વાહનોને ગામની બહાર પાર્ક કરીને પગપાળા જવું પડે છે. રસ્તાઓના અભાવને કારણે આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓ પણ ગામ સુધી પહોંચી શકી નથી. ગ્રામજનોના મતે, તંત્રના બે વિભાગના સંકલનના અભાવે ગામ રસ્તાથી વંચિત રહ્યું છે. આથી રોષે ભરાયેલા ગ્રામજનોએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. ગ્રામજનો રસ્તા માટે લડી લેવાના મૂડમાં છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 4:34 pm

MGVCL એ 24,280 ગ્રાહકો પાસેથી 3.51 કરોડ વસૂલ્યા:બાકી વીજ બિલની વસૂલાત માટે મેગા ડ્રાઈવ યોજાઈ

મધ્ય ગુજરાત વીજ કંપની (MGVCL) દ્વારા બાકી વીજ બિલની વસૂલાત માટે એક મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત કુલ 24,280 ગ્રાહકો પાસેથી રૂ. 3 કરોડ 51 લાખ 33 હજારની રકમ વસૂલવામાં આવી છે. ગોધરા વર્તુળ કચેરી હેઠળ MGVCL દ્વારા બાકીદારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ માટે કુલ 1008 ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી હતી, જેમણે વિવિધ વિસ્તારોમાં જઈને સ્થળ પર વસૂલાત કરી હતી. આ ઝુંબેશ માત્ર ગોધરા પૂરતી મર્યાદિત ન રહેતા સમગ્ર વર્તુળ કચેરી હેઠળના વિસ્તારો જેવા કે ગોધરા, હાલોલ, લુણાવાડા અને દાહોદમાં વ્યાપક સ્તરે ચલાવવામાં આવી હતી. આ ચાર મુખ્ય કેન્દ્રોમાં કુલ 44,614 ગ્રાહકો પાસેથી રૂ. 5 કરોડ 99 લાખ 88 હજારની બાકી રકમ વસૂલવાનું આયોજન કરાયું હતું. વીજ કંપની દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારની વસૂલાત ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. MGVCL એ ગ્રાહકોને સમયસર વીજ બિલ ભરી દેવા માટે અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 4:32 pm

સરકાર હજ યાત્રીઓને સુરક્ષા માટે સ્માર્ટ વોચ આપશે:પાટણમાં 300થી વધુ યાત્રીઓનો તાલીમ કેમ્પ, એપ્રિલના અંતમાં મક્કા રવાના

પાટણ જિલ્લાના 300થી વધુ હજયાત્રીઓ માટે મદરેસા કંઝે મરગુબ ખાતે વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર વર્ષ 2026ની હજ યાત્રા માટે હતી. આ વર્ષે સુરક્ષાના ભાગરૂપે સરકાર દ્વારા હજયાત્રીઓને સ્માર્ટ વોચ આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય હજ સમિતિ અને હાજી ખિદમત કમિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કેમ્પમાં યાત્રીઓને હજ દરમિયાન રાખવાની તકેદારી અને લોજિસ્ટિક્સ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હનીફ પટેલ અને આરિફ સાહેબ દ્વારા યાત્રીઓને પ્રવાસના વ્યવસ્થાપન અને પવિત્ર યાત્રાની વિધિઓ અંગે વિસ્તૃત તાલીમ અપાઈ હતી. આ સ્માર્ટ વોચ યાત્રા દરમિયાન ભીડમાં કોઈ યાત્રી ગુમ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે આપવામાં આવશે. ટેકનોલોજીની મદદથી હજયાત્રીઓના લોકેશન અને સુરક્ષા પર દેખરેખ રાખી શકાશે. હજયાત્રીઓ એપ્રિલ મહિનાના અંતમાં મક્કાની યાત્રાએ રવાના થશે. હાજી ખિદમત કમિટી પાટણ દ્વારા છેલ્લા 28 વર્ષથી સતત હજયાત્રીઓની સેવા માટે આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 4:27 pm

પાટણ-સિદ્ધપુરમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન:બાહુબલી હનુમાનજી, અયોધ્યા રામલલ્લાની પ્રતિકૃતિ બનશે આકર્ષણનું કેન્દ્ર

પાટણ અને સિદ્ધપુર શહેરમાં આવતીકાલે રામનવમીના પાવન પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પાટણમાં વિશ્વ હિન્દુ પરિષદ અને શ્રીરામ સેવા સમિતિ દ્વારા આયોજિત 39મી શોભાયાત્રા બપોરે 3 વાગ્યે છીંડિયા રામજી મંદિરથી પ્રસ્થાન કરશે. આ યાત્રામાં અનેક આકર્ષણો જોવા મળશે. આ વર્ષે પાટણની શોભાયાત્રામાં કેટલાક નવા આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે. શોભાયાત્રાનો પ્રારંભ ભગવાન રામની મહાઆરતીથી થશે. પાટણમાં પ્રથમવાર શ્રદ્ધાળુઓ બાહુબલી હનુમાનજીના દર્શન કરી શકશે. અયોધ્યામાં બિરાજમાન રામલલ્લાની આબેહૂબ પ્રતિકૃતિ અને ચાંદીની બનેલી રામલલ્લાની ચરણપાદુકા પણ નગરભ્રમણમાં સામેલ કરાશે. આ ઉપરાંત, અયોધ્યામાં ભગવાન રામે ધારણ કરેલા વસ્ત્રો પણ ભાવિકોના દર્શનાર્થે મૂકવામાં આવશે.સાંસ્કૃતિક અને મનોરંજનના ભાગરૂપે, શોભાયાત્રામાં રાજ કમલ બેન્ડ દ્વારા રામભજનોની પ્રસ્તુતિ કરાશે, જ્યારે પંજાબથી ખાસ પંજાબી બેન્ડને આમંત્રિત કરવામાં આવ્યું છે. શક્તિ પ્રદર્શન માટે દુર્ગાવાહિનીની 500 દીકરીઓ તલવારબાજીના દાવપેચ બતાવશે અને બજરંગદળના યુવકો વિવિધ સાહસિક કરતબો રજૂ કરશે. આ યાત્રામાં કુલ 15 જેટલી વિવિધ ઝાંખીઓ સામેલ થશે.શોભાયાત્રાના માર્ગમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. આ સમગ્ર આયોજન રાત્રે 9 કલાકે રામજી મંદિર પરિસરમાં પૂર્ણ થશે. સમરસતાના ભાવથી તમામ રામભક્તો માટે રાત્રે 9 વાગ્યે રામજી મંદિર પરિસર ખાતે રામખીચડીના પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 4:23 pm

પેટ્રોલની અછતની અફવા 'ઈ-ક્રાંતિ' લાવી:સુરતમાં 5 દિવસમાં 343 ઇલેક્ટ્રિક વાહનો વેચાયાં, શોરૂમ્સ પર ઇન્કવાયરી બમણી

સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો ખોરવાશે તેવી અફવાઓએ જોર પકડ્યું છે. પેટ્રોલ પંપો પર લાગતી વાહનોની લાંબી કતારો અને ઇંધણની અનિશ્ચિતતાથી કંટાળેલા સુરતીઓએ હવે કાયમી વિકલ્પ શોધવાનું શરૂ કર્યું છે. આ સ્થિતિનો સીધો ફાયદો ઇલેક્ટ્રિક વ્હીકલ સેક્ટરને મળ્યો છે. અછતની આશંકા વચ્ચે લોકો મોટા પાયે ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે, જેને કારણે શહેરના ઓટોમોબાઈલ માર્કેટમાં નવી તેજી જોવા મળી રહી છે. 5 દિવસમાં 343 વાહનોનું રેકોર્ડબ્રેક વેચાણઆંકડાકીય માહિતી મુજબ, સુરતમાં છેલ્લા માત્ર પાંચ દિવસના ટૂંકા ગાળામાં જ કુલ 343 ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું છે. શોરૂમ સંચાલકોના જણાવ્યા અનુસાર, અગાઉ સામાન્ય દિવસોમાં દરરોજ સરેરાશ 20થી 25 ગ્રાહકો પૂછપરછ માટે આવતા હતા, જે આંકડો છેલ્લા એક સપ્તાહમાં વધીને 45થી 50 સુધી પહોંચી ગયો છે. આમ, ઇલેક્ટ્રિક બાઇક અને સ્કૂટર માટેની ઇન્કવાયરીમાં સીધો 100 ટકાનો ઉછાળો નોંધાયો છે. કોમર્શિયલ સેક્ટરમાં લો-સ્પીડ વાહનોનો દબદબોબજારના ટ્રેન્ડ મુજબ, કુલ વેચાણ અને ઇન્કવાયરીમાં 80 ટકા હિસ્સો 'લો-સ્પીડ' વાહનોનો છે. ખાસ કરીને નાના વેપારીઓ, ડિલિવરી બોયઝ અને સ્થાનિક ફેરીયાઓ દ્વારા કોમર્શિયલ ઉપયોગ માટે આ વાહનોની માગ વધુ કરવામાં આવી રહી છે. હાઈ-સ્પીડ વાહનોની સરખામણીએ લો-સ્પીડ વાહનો સસ્તા હોવા ઉપરાંત તેમાં આરટીઓ રજિસ્ટ્રેશન કે ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર પડતી નથી, જે વ્યવસાયિક ઉપયોગ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે. બોર્ડની પરીક્ષા બાદ વિદ્યાર્થીઓમાં વધતું આકર્ષણબીજી તરફ, શૈક્ષણિક ક્ષેત્રે પણ ઇલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ વધ્યો છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થતા જ વાલીઓ પોતાના સંતાનોને ભેટ તરીકે ઇલેક્ટ્રિક સ્કૂટર અપાવી રહ્યા છે. ખાસ કરીને વિદ્યાર્થિનીઓમાં લો-સ્પીડ બાઇકની ડિમાન્ડમાં મોટો વધારો જોવા મળ્યો છે. પરીક્ષાના ટેન્શન બાદ હવે વેકેશન અને આગામી કોલેજ કાળ માટે સુરક્ષિત અને કરકસરભર્યા વાહન તરીકે EV પહેલી પસંદ બની રહ્યા છે. ખિસ્સાને પરવડે તેવું અને પર્યાવરણને અનુકૂળપેટ્રોલના સતત વધતા ભાવ અને પુરવઠાની અનિશ્ચિતતા વચ્ચે ઇલેક્ટ્રિક વાહન ચલાવવાનો ખર્ચ પ્રતિ કિલોમીટર માત્ર 15થી 20 પૈસા જેટલો આવે છે. સુરતમાં ચાર્જિંગ સ્ટેશનોની વધતી સુવિધા અને ઇકો-ફ્રેન્ડલી અભિગમને કારણે લોકો હવે માનસિક રીતે પેટ્રોલ એન્જિન છોડીને બેટરી સંચાલિત વાહનો અપનાવવા તૈયાર થયા છે. આગામી દિવસોમાં આ ડિમાન્ડ હજુ પણ વધે તેવી પૂરેપૂરી શક્યતા છે. ઈન્કવાયરી ડબલ થઈ ગઈપ્રશાંતભાઈ રાઠોડ (ઓનર શ્રી જલારામ ઇલેક્ટ્રિક ) એ જણાવ્યું હતું કે, અત્યારે જે તાજેતરની પરિસ્થિતિ ઉદભવી છે, જે ઇઝરાયેલ-ઈરાનનું યુદ્ધ છે, એના લીધે એવું છે કે ક્રૂડ ઓઈલના સપ્લાયમાં થોડું મોડું થાય છે. એના લીધે પેટ્રોલ પંપ પર જે અફવાઓને કારણે લાઈનો લાગી રહી છે, તેના લીધે અમારા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ફીલ્ડમાં ઈન્કવાયરીમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે. સ્ટુડન્ટ સબસિડીન કારણે પણ ડિમાન્ડમાં વધારોકસ્ટમર પણ અત્યારે (ઇલેક્ટ્રિક વ્હીકલ) લેવા માટે વધારે ઈચ્છુક છે. તદુપરાંત, અત્યારે જે વેકેશન ચાલી રહ્યું છે અને ધો-10-12ની પરીક્ષાઓ હમણાં જ પૂર્ણ થઈ છે, તેને ધ્યાનમાં રાખીને સરકાર અત્યારે પ્રોત્સાહન સ્વરૂપે 12,000ની સ્ટુડન્ટ સબસિડી પણ આપી રહી છે. જેના કારણે માગમાં ખૂબ જ ખાસો વધારો જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 4:21 pm

હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઇન પર ઇલેક્ટ્રિક લોકોનો સ્પીડ ટ્રાયલ:40 મિનિટમાં ખેડબ્રહ્મા પહોંચી, 30 મિનિટમાં હિંમતનગર પરત ફર્યો

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરથી ખેડબ્રહ્મા રેલવે લાઇન પર ઇલેક્ટ્રિક લોકોનો સ્પીડ ટ્રાયલ સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો. આ ટ્રાયલ દરમિયાન, ઇલેક્ટ્રિક લોકો 40 મિનિટમાં ખેડબ્રહ્મા પહોંચ્યો હતો અને પરત હિંમતનગર 30 મિનિટમાં આવ્યો હતો. આ રેલવે લાઇનનું ઉદ્ઘાટન 31 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઈ-લોકાર્પણ દ્વારા કરવામાં આવશે. હિંમતનગરથી ખેડબ્રહ્મા સુધીની આ ગેજ પરિવર્તન રેલવે લાઇન પર ખેડબ્રહ્મા-હિંમતનગર-અસારવા મેમુ ટ્રેન સેવા શરૂ કરવાની પ્રાથમિક માહિતી સૂત્રો દ્વારા મળી છે. વડાપ્રધાન 31 માર્ચે વાવથી રેલવે વિભાગના વિવિધ પ્રોજેક્ટ્સનું ઈ-લોકાર્પણ કરવાના છે. બુધવારે સવારે અમદાવાદથી ઇલેક્ટ્રિક લોકો 12.40 વાગ્યે હિંમતનગર રેલવે સ્ટેશને પહોંચ્યો હતો. ત્યારબાદ, અમદાવાદ રેલવેના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (CAO) પ્રદીપ ગુપ્તા અને CPM એસ.આર. પ્રસાદ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ઇલેક્ટ્રિક લોકો ખેડબ્રહ્મા જવા રવાના થયો હતો. હિંમતનગર રેલવે સ્ટેશનથી બપોરે 1 વાગ્યે સ્પીડ ટ્રાયલ શરૂ થયો હતો. ઇલેક્ટ્રિક લોકો 90 કિમી પ્રતિ કલાકની ઝડપે 55 કિમીનું અંતર કાપીને 1.40 વાગ્યે ખેડબ્રહ્મા પહોંચ્યો હતો. ત્યાં 20 મિનિટના રોકાણ બાદ, બપોરે 2 વાગ્યે ખેડબ્રહ્માથી હિંમતનગર તરફ પરત પ્રયાણ કર્યું હતું. 110 કિમી પ્રતિ કલાકની ઝડપે 55 કિમીનું અંતર 30 મિનિટમાં કાપીને, ઇલેક્ટ્રિક લોકો બપોરે 2.30 વાગ્યે હિંમતનગર રેલવે સ્ટેશને પરત ફર્યો હતો.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 4:12 pm

'વધારે બોલશો તો આખા પરિવારની ઇમિગ્રેશન પ્રોફાઈલ બરબાદ કરી નાખીશ':કેનેડાના PRની જગ્યાએ વર્ક પરમિટ વિઝા આપીને આણંદની યુવતી સાથે છેતરપિંડી, ગઠિયાએ ટુકડે-ટુકડે 40.85 લાખ પડાવ્યા

આણંદમાં રહેતી યુવતીએ પરિવાર કેનેડાના PR વિઝા માટે વિઝા કન્સલ્ટીમાં ટુકડે-ટુકડે 40.85 લાખ રૂપિયા આપ્યા હતા.યુવતીને PR વિઝાની જગ્યાએ વર્ક પરમિટ વિઝા આપવામાં આવ્યા હતા. યુવતી પાસેથી પૈસા લઈને ઇમિગ્રેશન પ્રોફાઈલ બરબાદ કરી દેવાની ધમકી આપી હતી જે અંગે એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સો.મીડિયા મારફતે PR વિઝા માટે કન્સલટન્સીનો સંપર્ક કર્યો હતોઆણંદમાં રહેતી નેહા સિંધી નામની 36 વર્ષની યુવતીએ પતિ અને દીકરાના કેનેડા PR વિઝા માટે પરિમલ ગાર્ડન પાસે આવેલી વિઝા એક્સેપ્ટ નામની કન્સલ્ટન્સીના માલિક કવિશ કપૂરનો સોશિયલ મીડિયા મારફતે સંપર્ક કર્યો હતો. જે બાદ નેહા અમદાવાદ ખાતે મળવા પણ આવી હતી.કેનેડા PR વિઝા માટે 6થી 8 મહિનાનો સમય અને 42 લાખ રૂપિયાનો ખર્ચ થશે એવી વાતચીત થઈ હતી. કવિશે નેહા પાસેથી શરૂઆતમાં 4. 50 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. PRની પ્રોસેસ આવી જ હોય છે, ચિંતા ન કરોજે બાદ અલગ-અલગ પ્રોસેસના ખર્ચ પેટે લાખો રૂપિયા પડાવ્યા હતા. નેહાએ બેંક અને આંગડિયા મારફતે કુલ 40.85 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા.પૈસા જમવા કરાવ્યા તે બાદ નેહાને ત્રણ વર્ષના વર્ક પરમિટ વિઝા આપ્યા હતા. જેથી, નેહાએ કવિશ કપૂરને કહ્યું કે, આપણે PR માટે વાત થઈ હતી ત્યારે કવિશ કપૂરે કહ્યું કે PRની પ્રોસેસ આવી જ હોય છે, ચિંતા ન કરો. વધારે બોલશો તો તમારા પુરા પરિવારની ઇમિગ્રેશન પ્રોફાઈલ બરબાદ કરી નાખીશનેહાએ લાંબા સમય સુધી રાહ જોઈ પરંતુ કવિશે PRવિઝા અપાવ્યા નહોતા.જ્યારે નેહાએ પૈસા પરત માંગ્યા ત્યારે કવિશે કહ્યું કે વધારે બોલશો તો તમારા પુરા પરિવારની ઇમિગ્રેશન પ્રોફાઈલ બરબાદ કરી નાખીશ.લાખો રૂપિયા લઈને પીઆર વિઝાની જગ્યાએ વર્ક વિઝા આપતા નેહાએ કવિશ કપૂર સામે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 4:08 pm

વડોદરામાં પોલીસ અધિકારીઓનું આશ્રમમાં સન્માન:ચેટીચંદ પર્વે શાંતિ જાળવવા બદલ વારસિયામાં ધર્મગુરુ મુકેશ સાઈના હસ્તે બહુમાન કરાયું

વડોદરાની સંસ્કારી નગરીમાં સિંધી સમાજ દ્વારા ચેટીચંદના તહેવારની અત્યંત ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર અવસરે શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા પ્રેમ પ્રકાશ ધર્મ તીર્થ આશ્રમ ખાતે એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસ તંત્રના અભૂતપૂર્વ સહયોગને બિરદાવવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ અધિકારીઓનું સાલ ઓઢાડી સન્માનચેટીચંદના મેળા, મહાભંડારા અને ભવ્ય શોભાયાત્રા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને ટ્રાફિક તેમજ સુરક્ષાની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ ખડેપગે રહ્યો હતો. આ સેવા બદલ ધર્મગુરુ મુકેશ સાઈના માર્ગદર્શન હેઠળ DCP ઝોન-4 એન્ડ્રુ મેકવાન, PI વાય.જી. મકવાણા અને PI ટી.એ. દેસાઈનું આશ્રમ પરિવાર દ્વારા સાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ભક્તિમય માહોલમાં ઉજવણી સંપન્નઆ પ્રસંગે આશ્રમમાં ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રેલમછેલ જોવા મળી હતી. સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. પોલીસ અધિકારીઓએ પણ આ સન્માન સ્વીકારી આભાર વ્યક્ત કર્યો હતો. આયોજકોના જણાવ્યા મુજબ, પોલીસના સક્રિય સહકારને કારણે જ હજારોની મેદની હોવા છતાં સમગ્ર મહોત્સવ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે અને શિસ્તબદ્ધ રીતે પૂર્ણ થયો હતો.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 4:06 pm

ખજોદ ડમ્પિંગ સાઈટઃ 24 કલાક બાદ પણ આગ બેકાબૂ:1 કિમીના કચરાનાં પહાડમાં લાગેલી આગે દાવાનળનું સ્વરૂપ ધારણ કર્યું, સુરત ફાયર વિભાગનાં પ્રયાસો હજી સુધી નિરર્થક

સુરત શહેરનાં ખજોદ ખાતે આવેલ ડમ્પિંગ સાઈટમાં ગતરોજ લાગેલી આગ પર કાબૂ મેળવવાનાં ફાયર વિભાગનાં હરસંભવ પ્રયાસો નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. ગઈકાલ બપોરથી આજે સુધી ફાયર વિભાગનાં જવાનોનાં ભારે પ્રયાસો વચ્ચે હજી પણ આગની જવાળાઓ અને ધુમાડાનાં ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળી રહ્યા છે. સફાઈ કૌભાંડનાં પાપે જવાબદારોને છાવરવા માટે આગ લગાવવામાં આવી હોવાની ચર્ચાઓ વચ્ચે હવે ખુદ ફાયર વિભાગ માટે પણ આ વિકરાળ આગ પર કાબુ મેળવવા માટે લોઢાનાં ચણાં ચાવવા જેવી સ્થિતિ સર્જાવા પામી છે. સેંકડો લિટર પાણીનો છંટકાવ કરવા છતાં ડમ્પીંગ સાઈટમાં જાણે દાવાનળ ફાટી નીકળ્યો હોય તેમ આગ પર કાબુ મેળવવામાં હજી સુધી ફાયર વિભાગને ધરાર નિષ્ફળતા સાંપડી રહી છે. કચરા કૌભાંડના કારણે સુરત મહાનગર પાલિકાની આબરૂનું પણ ધોવાણ થયું હતું સુરત મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશભરમાં પ્રથમ ક્રમાંક મેળવ્યા બાદ ખજોદ ડમ્પીંગ સાઈટ પરથી કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાને બદલે બારોબાર અંતરિયાળ વિસ્તારોમાં આવેલ ખેતરોમાં કચરાનો નાશ કરવાનાં પ્રકરણને પગલે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. કચરા કૌભાંડના કારણે સુરત મહાનગર પાલિકાની આબરૂનું પણ ધોવાણ થયું હતું અને જે તે સમયે ઈજારદાર સીડી ટ્રાન્સપોર્ટ કંપની વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહીની સાથે સાથે જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી રૂપે બદલી પણ કરવામાં આવી હતી. જ કે, આ સમગ્ર પ્રકરણમાં તપાસ સમિતિ પણ રચવામાં આવી હતી અને હજી સુધી તપાસ સમિતિની ગોકળગાય તપાસ વચ્ચે માત્ર 52 દિવસમાં જ ડમ્પીંગ સાઈટમાં વધુ એક વખત આગ ફાટી નીકળતાં તરેહ તરેહની ચર્ચાએ જોર પકડ્યું છે. ફાયર વિભાગની ટીમ દ્વારા આગને અંકુશમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા ખાસ કરીને ડમ્પીંગ સાઈટ પર મોટા પ્રમાણમાં એકઠાં થયેલા કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાને બદલે છાશવારે આગ લગાડવામાં આવી રહી હોવાનાં આક્ષેપો પણ ઉઠવા પામ્યા છે. ગઈકાલે બપોરનાં સુમારે ડમ્પીંગ સાઈટ પર એક કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલી આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગ દ્વારા રીતસરનાં હવાતિયાં મારવામાં આવ્યા હતા. દુર -દુર સુધી આગનાં ગોટેગોટા દેખાતાં શહેરીજનોમાં પણ એક તબક્કે ગભરાટની લાગણી જોવા મળી હતી. જોકે, આખો દિવસ આગ પર કાબુ મેળવવાનાં પ્રયાસો બાદ રાત્રે પણ ફાયર વિભાગની ટીમ દ્વારા આગને અંકુશમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. અલબત્ત, વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચુકેલી આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગનાં હરસંભવ પ્રયાસો વામણાં પુરવાર થઈ રહ્યા છે અને હજી પણ ડમ્પીંગ સાઈટ પરથી વિકરાળ આગનાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે. 52 દિવસમાં જ બીજીવાર આગની ઘટનાએ આક્ષેપોનો દૌર શરુ કર્યોબે મહિના પહેલાં ખજોદ ખાતે આવેલ ડિસ્પોઝલ સાઈટ પરથી સાયન્ટીફિક રીતે કચરાનો નિકાલ કરવાને બદલે કોન્ટ્રાક્ટર સીડી ટ્રાન્સપોર્ટ દ્વારા મહુવા તાલુકાનાં કાંકરિયા ગામે અંદાજે 5 હજાર મેટ્રિક ટન કચરો ઠાલવી દેવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે સુરત મહાનગર પાલિકામાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા. તત્કાલીન કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા જવાબદાર એજન્સી વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવાની સાથે-સાથે અધિકારીઓનાં પણ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. બીજી તરફ વિરોધ પક્ષ દ્વારા પણ આ ઘટનામાં પાલિકાનાં વહીવટી તંત્ર અને શાસકોની ભુંડી ભૂમિકા હોવાનાં આક્ષેપો વચ્ચે તપાસ સમિતિની નિમણૂંક કરવામાં આવી હતી. જો કે, બે મહિના બાદ પણ મંથરગતિએ ચાલી રહેલી તપાસને પગલે હવે જવાબદારોને બચાવી લેવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યાની ચર્ચાઓ ઉઠવા પામી છે. માત્ર 52 દિવસમાં જ ખજોદ ડમ્પીંગ સાઈટ ખાતે બીજી વખત ભીષણ આગની ઘટનાને પગલે વધુ એક વખત આક્ષેપોનો દૌર શરૂ થઈ ગયો છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 3:57 pm

સીજી રોડ પરની બેકરીની નાનખટાઈ ખાતા જ ઉલટીઓ થઈ:BEEKEY BEKARSની નાનખટાઈમાંથી જીવાત નીકળી, ગાંધીનગરના યુવકની ફૂડ વિભાગમાં ફરિયાદ

શહેરમાં દિન પ્રતિદિન ખાણીપીણીની ચીજ વસ્તુઓમાંથી જીવાતો અથવા અન્ય કોઇ વસ્તુ નીકળવાની ઘટના સામે આવતી રહે છે, ત્યારે શહેરના સીજી રોડ ઉપર આવેલી BEEKEY BEKARS નામની બેકરીની નાનખટાઈમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. ગ્રાહક દ્વારા છૂટક ખરીદેલી નાનખટાઈમાંથી જીવાતો નીકળી હતી. ગ્રાહકના મિત્રએ નાનખટાઈ ખાઈ લીધી હતી જેને કારણે તેને ઉલટીઓ પણ થઈ હતી. ખરીદી કરવામાં આવેલી તમામ નાનખટાઈ ફેંકી દેવી પડી હતી. ગ્રાહક દ્વારા ફૂડ વિભાગ અને AMCના ફૂડ વિભાગમાં ઈમેલ મારફતે ફરિયાદ કરવામાં આવી હતી. બેકરીમાંથી નાનખટાઈ, ટોસ્ટ અને નટ બિસ્કીટ ખરીદ્યાગાંધીનગર વિસ્તારમાં રહેતા મૌલિક પ્રજાપતિએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા નવરંગપુરા વિસ્તારમાં આવેલા સીજી રોડ પરની BEEKEY BEKARS નામની બેકરીમાંથી નાનખટાઈ, ટોસ્ટ અને નટ બિસ્કીટ ખરીદ્યા હતા. તમામ ચીજ વસ્તુઓ ઘરે લાવ્યા બાદ તેમાં નાનખટાઈ છૂટક હતી, જેને પેકિંગ કરી બેકરી તરફથી આપવામાં આવી હતી. પેકેટ ખોલતા જ નાનખટાઈમાં જીવાત નીકળીજ્યારે ઘરે લાવી અમે પેકેટ ખોલીને જોયું ત્યારે નાનખટાઈમાં જીવાત નીકળી હતી. કેટલીક જીવિત અને કેટલીક મૃત હાલતમાં જીવાતો નીકળી હતી. જેથી તેનો ફોટો અને વીડિયો લીધો હતો. ખરીદવામાં આવેલી ચીજ વસ્તુઓમાંથી જીવાત નીકળી હતી, જેને પગલે પગલે બીજા દિવસે તેને ફેંકી દીધી હતી. મિત્રએ નાનખટાઈ ખાતા જ ઉલટીઓ થઈવધુમાં તેમણે જણાવ્યું હતું કે, નાનખટાઈમાંથી જીવાત નીકળી હતી. જે તેમની નાની દીકરીએ જોઈ હતી અને થોડી ખાઈ પણ લીધી હતી. જ્યારે તેમના મિત્રએ પણ આજ નાનખટાઈ ખરીદી હતી. તે ત્રણ નાનખટાઈ ખાઈ ગયો હતો. જેના કારણે તેને ઉલટીઓ પણ થઈ હતી. જેથી તાત્કાલિક ધોરણે તેમણે તમામ નાનખટાઈ ફેંકી દીધી હતી. અમે ફૂડ વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની હેલ્પલાઈનમાં જે ઇમેલ આઇડી આવેલું છે તેમાં ફરિયાદ કરી છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 3:54 pm

રિક્ષા પાર્કિંગ મામલે હુમલો કરનાર યુવકની ધરપકડ:અમરાઈવાડીમાં ત્રણ યુવકોએ ભેગા મળીને માર માર્યો હતો, મારામારીની ઘટના CCTVમાં પણ કેદ થઈ હતી

અમરાઈવાડી વિસ્તારમાં રિક્ષા પાર્કિંગ કરવા બાબતે એક યુવક સાથે બોલાચાલી અને મારામારીની ઘટના બની હતી. ત્રણ યુવકોએ ભેગા મળીને માર માર્યો તો જે મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી છે. અમરાઈવાડીમાં લુખ્ખા તત્વોએ બેફામ બની અને મારામારી કરી હોવાનો વીડિયો વાયરલ થયો હતો, જે બાદ પોલીસે સ્પષ્ટતા કરી અને રિક્ષા પાર્કિંગ બાબતે ઝઘડો થયો હતો અને અગાઉ પણ આ જ રીતે બનાવ બન્યો હતો. સમગ્ર મારામારીના CCTV અને વીડિયો વાયરલ થયા બાદ ગુનો નોંધી કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું છે. મારામારીનો વીડિયો સો.મીડિયામાં પણ વાયરલ થયો હતોમળતી માહિતી મુજબ અમરાઈવાડી નીતિ નગર પાસે મંઝિલ ચાલીમાં યુવક પર તલવાર અને લોખંડના પાઇપ વડે હુમલો કરાયો હોવાનો વીડિયો વાયરલ થયો હતો જેને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. સોનવીર બગેલ નામના યુવક પર હુમલો કરાયો હતો સોનવીર રિક્ષામાં બેઠો હતો ત્યારે આશિષ અને તેના અન્ય બે મિત્રોએ લોખંડના પાઇપ અને તલવાર વડે હુમલો કર્યો હતો. સોનવીરને ગંભીક ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મારામારીની ઘટના CCTVમાં પણ કેદ થઈ ગઈ હતી. મારામારીના આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરવામાં આવ્યા હતા. પોલીસે એક આરોપીની ધરપકડ કરીઅમરાઈવાડી પોલીસ સ્ટેશનના પી આઇ આર બી ચાવડાએ જણાવ્યું હતું કે, યુવક પર હુમલો કરવાનો જે વીડિયો વાયરલ થયો હતો. તેમાં સોનવીર નામના વ્યક્તિ પર આશિષ અને તેના બે મિત્રો દ્વારા હુમલો કરાયો હતો. રિક્ષા પાર્કિંગ કરવા બાબતે હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે અગાઉ પણ આ જ બાબતે બોલાચાલી થઈ હતી પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 3:41 pm

નર્મદા નદી પર ભારતનો પ્રથમ 8-લેન 'એક્સ્ટ્રાડોઝ્ડ' રિવર બ્રિજ:32,000 મેટ્રિક ટન સ્ટીલના ઉપયોગથી બ્રિજનું નિર્માણ, દિલ્હી-મુંબઈ વચ્ચે 10-12 કલાકનો મુસાફરી સમય ઘટશે

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર નર્મદા નદી પર બનેલો 2.22 કિલોમીટર લાંબો 8-લેન 'એક્સ્ટ્રાડોઝ્ડ' બ્રિજ કાર્યરત થઈ ગયો છે. આ બ્રિજ શરૂ થવાથી દિલ્હી અને મુંબઈ વચ્ચેના મુસાફરી સમયમાં આશરે 10 થી 12 કલાકનો નોંધપાત્ર ઘટાડો થયો છે. આ અંગે એન.એચ.એ.આઈ.ના અધિકારીઓએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી. આ બ્રિજ ભારતનો પ્રથમ 8-લેન 'એક્સ્ટ્રાડોઝ્ડ' રિવર બ્રિજ છે, જે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-મનુબર સેક્શનમાં આવેલો છે. આધુનિક ઇજનેરી કૌશલ્ય અને અદ્યતન ટેક્નોલોજીથી નિર્મિત આ બ્રિજ દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. નર્મદા નદીના જળપ્રવાહ અને દરિયાઈ ભરતી-ઓટ જેવા પડકારો વચ્ચે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વિસ્તાર સિસ્મિક ઝોનમાં આવતો હોવા છતાં, ઇજનેરોએ 60 મીટરથી વધુ ઊંડા પાઈલ ફાઉન્ડેશન દ્વારા મજબૂત માળખું ઊભું કર્યું છે. નિર્માણ દરમિયાન બે વખત આવેલા પૂરથી કામચલાઉ માળખાને નુકસાન પહોંચ્યું હોવા છતાં, કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. બ્રિજના નિર્માણમાં આશરે 32,000 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ થયો છે, જે વિશ્વપ્રસિદ્ધ 'બ્રુકલિન બ્રિજ' કરતાં અંદાજે 2.5 ગણો વધુ છે. પાયલોન અને પાઈલ્સની ઊંચાઈ આશરે 29 માળની ઇમારત જેટલી છે. જર્મનીથી 700 મેટ્રિક ટનના વિશેષ 'સ્ટે કેબલ્સ' મંગાવવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટમાં 200 કરોડ રૂપિયાની આધુનિક મશીનરી તથા 150 ટન ક્ષમતા ધરાવતા 8 ગોલિયાથ ક્રેન્સની મદદથી 1,238 પ્રીકાસ્ટ સેગમેન્ટ્સ ગોઠવવામાં આવ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના નિષ્ણાતોના મત અનુસાર, આ બ્રિજ આધુનિક ભારતની ઇજનેરી ક્ષમતા અને સંકલ્પશક્તિનું પ્રતિબિંબ છે. આ બ્રિજ ભરૂચ અને અંકલેશ્વર જેવા મહત્વપૂર્ણ ઔદ્યોગિક વિસ્તારો માટે ગેમ-ચેન્જર સાબિત થશે. દિલ્હી, વડોદરા, સુરત અને મુંબઈ વચ્ચે માલસામાનની ઝડપી હેરફેર થવાથી સમગ્ર કોરિડોરમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળશે અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વૃદ્ધિ થશે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 3:40 pm

હિંમતનગર પાલિકાએ 27થી વધુ દબાણ હટાવ્યા:જે.પી. મોલથી પૂર્ણિમા રોડ પર કાર્યવાહી, બ્લોક લગાવાશે

હિંમતનગર નગરપાલિકાના દબાણ વિભાગે જે.પી. મોલથી પૂર્ણિમા રોડ પર દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી છે. બુધવારે આ કાર્યવાહી દરમિયાન 27થી વધુ પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ રોડ પર ઓટલા અને પગથિયાં જેવા 70થી વધુ પાકા દબાણો હોવાનું જાણવા મળ્યું છે. પાલિકા દ્વારા રોડની બંને તરફના દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે. હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, પૂર્ણિમાથી જે.પી. મોલ રોડ પર બંને તરફના દબાણો હટાવવામાં આવી રહ્યા છે. દબાણો દૂર થયા બાદ આ વિસ્તારમાં બ્લોક લગાવવાની કામગીરી પણ હાથ ધરાશે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 3:39 pm

રાજકોટમાં રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષનું આગમન:રામનવમીએ નવનિર્મિત સેવક ભવનનું ઉદ્ઘાટન અને વિવેક હૉલમાં ભક્તોને પાઠવશે પાવન આશીર્વચન

રાજકોટની ધર્મપ્રેમી જનતા માટે આગામી દિવસો ભક્તિ અને આધ્યાત્મિકતાના પર્વ સમાન બની રહેશે. રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ પૂજ્ય સ્વામી સુહિતાનંદજી મહારાજ રાજકોટની મુલાકાતે પધારી રહ્યા છે. તેમની આ મુલાકાતને લઈને આશ્રમ પરિવાર અને હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્વામીજીનું આગમન અને કાર્યક્રમની રૂપરેખાસ્વામી સુહિતાનંદજી મહારાજ ગુરુવાર, તા. 26 માર્ચના રોજ રાજકોટના આંગણે પધારશે. તેમના રોકાણ દરમિયાન વિવિધ સેવાકીય અને આધ્યાત્મિક પ્રકલ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. મહારાજશ્રીના સાનિધ્યમાં આયોજિત આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતા છે. રામનવમીના પવિત્ર દિવસે ‘સેવક ભવન’નું લોકાર્પણતા. 27 માર્ચના રોજ જ્યારે સમગ્ર દેશ રામનવમીની ઉજવણી કરતો હશે, ત્યારે રાજકોટ રામકૃષ્ણ આશ્રમ ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાશે. સવારે 10:30 વાગ્યે પૂજ્ય સ્વામીજીના હસ્તે આશ્રમ પરિસરમાં જ નવનિર્મિત ‘સ્વામી અખંડાનંદ સેવક ભવન’નું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ભવન આશ્રમના કર્મચારીઓના નિવાસ માટે તૈયાર કરવામાં આવ્યું છે, જે મહારાજશ્રીની હાજરીમાં લોકાર્પિત થશે. આશીર્વચન અને વિદાયતા. 28 માર્ચના રોજ સાંજે 7:30 વાગ્યે આશ્રમના ‘વિવેક હૉલ’માં એક વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પૂજ્ય સ્વામી સુહિતાનંદજી મહારાજ ઉપસ્થિત જનમેદનીને પોતાના પાવન આશીર્વચન અને માર્ગદર્શન પાઠવશે. આશ્રમ પરિવાર દ્વારા શહેરની જનતાને આ સભાનો લાભ લેવા ભાવભીનું આમંત્રણ અપાયું છે. પોતાની ત્રણ દિવસીય મુલાકાત પૂર્ણ કરી મહારાજ રવિવાર, તા. 29 માર્ચના રોજ સવારે રાજકોટથી પ્રસ્થાન કરશે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 3:36 pm

NDPSના આરોપીને 3 વર્ષની કેદ:બાપુનગરમાં આરોપી પાસેથી 96 હજારનું MD ડ્રગ્સ મળ્યું

અમદાવાદના DCB પોલીસ મથકે અમદાવાદના રહેવાસી 22 વર્ષે આરોપી મોહમ્મદ આઝમ સામે NDPS એક્ટ અંતર્ગત ગુન્હો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી NDPSની વિશેષ અદાલતમાં ચાલી જતા કોર્ટે સરકારી વકીલ દિલીપસિંહ.એમ.ઠાકોરની દલીલો, સાહેદો અને પુરાવા તપાસીને આરોપીને 3 વર્ષની કેદ કરી છે. MD ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની બાતમી પોલીસને મળી હતીકેસને વિગતે જોતા આરોપી મોહમ્મદ આઝમ બાપુનગરમાં અજિતમીલ પાસે લાઈટના થાંભલા નીચે ઉભો રહીને MD ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે બાતમી સ્થળે જઈને આરોપીને ઝડપી પાડ્યો હતો. કોર્ટના જજ વી.બી.રાજપૂતે 3 વર્ષની કેદ ઉપરાંત 1 લાખનો દંડ કર્યોઆરોપીની તપાસ કરતા તેને ખિસ્સામાંથી એક પારદર્શક પ્લાસ્ટિકની થેલીમાં 9.69 ગ્રામ જેટલું MD ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની બજારકિંમત 96 હજાર રૂપિયા જેટલી થતી હતી. આરોપીને વિશેષ NDPS કોર્ટના જજ વી.બી.રાજપૂતે 3 વર્ષની કેદ ઉપરાંત 1 લાખ રૂપિયાનો દંડ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 3:28 pm

ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની રચના:મુખ્યમંત્રી સહિત 13 સભ્યો, 2 આમંત્રિત અને 4 વિશેષ આમંત્રિત સભ્યનો સમાવેશ

ગુજરાતમા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભાજપ દ્વારા પ્રદેશ ચૂંટણી સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં કૂલ 19 સભ્યોનો સમાવેશ કરાયો છે. જેઓના નામ નીચે મુજબ છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 3:26 pm

પેન્શનરોના હકો પર તરાપ સહન નહીં કરાય:વેલિડેશન એક્ટના વિરોધમાં ભાવનગર જિલ્લા પેન્શનર સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું, વડાપ્રધાનને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યો

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં પસાર કરવામાં આવેલા 'વેલિડેશન એક્ટ 2025' ના વિરોધમાં સમગ્ર દેશમાં પેન્શનરોમાં રોષ જોવા મળી રહ્યો છે, આ કાયદાને પેન્શનરોના હકો પર તરાપ સમાન ગણાવ્યો હતો જેના ભાગરૂપે આજરોજ ભાવનગર જિલ્લા પેન્શનર સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઓલ ઈન્ડિયા સ્ટેટ પેન્શનર ફેડરેશન અને ગુજરાત પેન્શનર સમાજના આદેશ અનુસાર ભાવનગરના પેન્શનરોએ કલેક્ટર કચેરી ખાતે કાળી પટ્ટી ધારણ કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, તેમજ ભાવનગર જિલ્લા કલેક્ટર મારફત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં આ કાયદાને તત્કાલ અસરથી પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે, પેન્શનર સમાજ મુજબ આ કાયદો પેન્શનરો વચ્ચે ભેદભાવ ઉભો કરે છે, 7માં પગાર પંચની ભલામણો મુજબ તમામ પેન્શનરોને સમાન ગણવાને બદલે, નિવૃત્તિની તારીખના આધારે વર્ગીકરણ કરવું એ સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક 'નાકરા જજમેન્ટ' નું ઉલ્લંઘન છે, આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર પેન્શન એ કોઈ લ્હાણી નથી પણ સામાજિક સુરક્ષાનું પગલું છે વધતી જતી મોંઘવારીમાં જૂના પેન્શનરોને મળવાપાત્ર લાભો છીનવી લેવાથી તેમની આર્થિક સ્થિતિ વધુ કફોડી બનશે. પેન્શનર સમાજ ભાવનગર ના દિલીપ બારૈયાએ જણાવ્યું હતું કે, અમે લોકો આજે પેન્શનર સમાજ ભાવનગર વતી આજે કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. આ આવેદન પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને કરેલ છે જે આગળ ઉપર આઠમું પગાર પંચ નિયત થવા જઈ રહ્યું છે, તેમાં પેન્શનર સમાજ બાકાત ન રહી જાય, વંચિત ન રહી જાય તેની ખાસ પ્રકારની રજૂઆત આમાં કરવામાં આવેલ છે અને વેલીડેશન એક્ટ જે છે એ અમને નુકસાનકર્તા છે તે દૂર થવો જોઈએ એની ખાસ અમારી આ બાબતે માંગણી છે, ​ભાવનગર જિલ્લા પેન્શનર સમાજના પ્રમુખ અને મહામંત્રી અમુભાઈ પાઠકે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, જો સરકાર આ 'કાળા કાયદા' ને પરત નહીં ખેંચે તો આગામી સમયમાં આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે, આજે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પેન્શનરો જોડાયા હતા અને સૂત્રોચ્ચાર દ્વારા પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 3:26 pm

દ્વારકામાં ગેરકાયદે ગેસ રિફિલિંગનો પર્દાફાશ:ગેસ સિલિન્ડર અને રિફિલિંગ સાધન સહિત ₹3.48 લાખનો મુદ્દામાલ જપ્ત, ત્રણ ઝડપાયા

દ્વારકા શહેરમાં ગેરકાયદેસર રીતે ઘરગથ્થુ ગેસ સિલિન્ડરનું રિફિલિંગ કરતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી કુલ ₹3,48,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડર અને રિફિલિંગના સાધનોનો સમાવેશ થાય છે. નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ, પી.આઈ. એ. એલ. બારસિયા અને સ્થાનિક પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. પી.એસ.આઈ. એન. એસ. ગોહિલ અને તેમની ટીમે રૂપેણબંદર વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિ જોઈ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, ત્રણ શખ્સો જાહેરમાં કોઈપણ સલામતીના સાધનો વગર ભરેલા સિલિન્ડરમાંથી ખાલી સિલિન્ડરમાં ગેસ ભરવાનું જોખમી કામ કરતા રંગેહાથ ઝડપાયા હતા. પકડાયેલા આરોપીઓમાં રૂપેણબંદરના સહાદતહુસેન અલ્તાફહુસેન મલિક (ઉં.વ. 35), મોહમ્મદ મોહીનુદ્દીન રહીમ શેખ (ઉં.વ. 19) અને નજીર રહીમ શેખ (ઉં.વ. 21) નો સમાવેશ થાય છે. સહાદતહુસેન મલિક 'મલિક ગેસ એજન્સી' નામે ગેસ એજન્સી અને ગેસ ચુલા રિપેરિંગનું કામ કરે છે, જ્યારે અન્ય બે તેની એજન્સીમાં કામ કરે છે. આરોપીઓ દ્વારા જાહેર સ્થળે બેદરકારીપૂર્વક ગેસ સિલિન્ડરનું રિફિલિંગ કરાતું હોવાથી આગ લાગવા અથવા વિસ્ફોટ જેવી ગંભીર ઘટના સર્જાવાની શક્યતા હતી, જેનાથી આસપાસના લોકોના જાનમાલને પણ જોખમ ઊભું થતું હતું. પોલીસે સ્થળ પરથી જુદી જુદી કંપનીના કુલ 202 ખાલી અને ભરેલા ગેસ સિલિન્ડર, ચાર ઇલેક્ટ્રિક મોટર, વાયર, પાઇપ, રેગ્યુલેટર અને વજન કાંટો સહિતના સાધનો કબજે કર્યા છે. જપ્ત કરાયેલા સમગ્ર મુદ્દામાલની કિંમત ₹3,48,300 આંકવામાં આવી છે. આ મામલે પોલીસે ત્રણેય આરોપીઓ સામે બી.એન.એસ.ની કલમ 287 તેમજ વિસ્ફોટક અધિનિયમ અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર પ્રકરણની વધુ તપાસ પી.એસ.આઈ. એન. એસ. ગોહિલ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 3:21 pm

ચંડીસર HPCL પ્લાન્ટમાં સંયુક્ત મોક ડ્રીલ યોજાઈ:આપત્તિ વ્યવસ્થાપન સજ્જતા ચકાસવા તંત્ર, પોલીસ, ફાયર વિભાગ જોડાયા

બનાસકાંઠાના ચંડીસર સ્થિત એચ.પી.સી.એલ. પ્લાન્ટ ખાતે જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ અને ફાયર વિભાગ દ્વારા સંયુક્ત મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય આપત્તિ વ્યવસ્થાપનની સજ્જતા ચકાસવાનો હતો. ગ્રામ્ય મામલતદાર શૈલેષ પ્રજાપતિની ઉપસ્થિતિમાં યોજાયેલી આ મોક ડ્રીલ દ્વારા કોઈપણ આકસ્મિક દુર્ઘટના સમયે તંત્રની સજ્જતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, પ્રતિભાવ સમય (Response Time) માં જરૂરી સુધારા-વધારા સૂચવવાનો પણ તેનો હેતુ હતો. આ મોક ડ્રીલમાં ફાયર બ્રિગેડ, આરોગ્ય વિભાગ, પોલીસ તંત્ર અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયા હતા. પ્લાન્ટમાં કટોકટીની કાલ્પનિક સ્થિતિ ઊભી કરીને વિવિધ વિભાગો વચ્ચેના સંકલનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મામલતદાર શૈલેષ પ્રજાપતિએ આ તકે જરૂરી સૂચનો આપી વહીવટી તંત્રની આપત્તિ વ્યવસ્થાપન ક્ષમતા વધુ સુદ્રઢ બનાવવા પર ભાર મૂક્યો હતો.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 3:19 pm

પંચમહાલ પોલીસે બે વર્ષથી ફરાર આરોપીને ઝડપ્યો:વિશ્વાસઘાત અને ભ્રષ્ટાચારના ગુનામાં સંડોવાયેલો હતો; શહેરા પોલીસ સ્ટેશનને સોંપાયો

પંચમહાલ પોલીસે વિશ્વાસઘાત અને ભ્રષ્ટાચારના ગુનામાં બે વર્ષથી ફરાર આરોપી રિયાજ રફીક મન્સુરી (રહે. ગોધરા) ને ઝડપી પાડ્યો છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસની આ એક મોટી સફળતા માનવામાં આવે છે. આરોપી રિયાજ મન્સુરી શહેરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાત અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળના ગંભીર ગુનામાં સંડોવાયેલો હતો. પંચમહાલ રેન્જ આઈ.જી. વિધિ ચૌધરી અને એસ.પી. ડો. હરેશ દૂધાત દ્વારા આ આરોપીને પકડવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. પેરોલ ફ્લો સ્ક્વોડના પી.એસ.આઈ. બી.એમ. રાઠોડના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. રૂપસિંહ કલાભાઈને ખાનગી બાતમી મળી હતી કે આરોપી ગોધરાના સફારી પાર્ક વિસ્તારમાં છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી આરોપી રિયાજ મન્સુરીને તેના નિવાસસ્થાનેથી ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે શહેરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 3:16 pm

કૃષિ મંત્રી જીતુ વાઘાણીની જાહેરાત:27 માર્ચથી આઈ-ખેડૂત પોર્ટલ પર 148 વિવિધ ઘટકોમાં સહાય માટે અરજી કરી શકાશે

ગુજરાતના ખેડૂતો અને પશુપાલકો માટે રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રોત્સાહક જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના ખેતી અને પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, વર્ષ 2026-27 ના નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ ખેડૂતોને વિવિધ યોજનાકીય લાભો આપવા માટે સરકાર કટિબદ્ધ છે. આ હેતુસર આગામી 27 માર્ચથી એક મહિના માટે એટલે કે 26 એપ્રિલ, 2026 સુધી ‘આઈ-ખેડૂત’ પોર્ટલ ઓનલાઈન અરજીઓ સ્વીકારવા માટે ખુલ્લું મૂકવામાં આવશે. ઐતિહાસિક નિર્ણય: બજેટ બાદ તુરંત પોર્ટલ કાર્યરતસામાન્ય રીતે સરકારી યોજનાઓના અમલીકરણમાં સમય લાગતો હોય છે, પરંતુ આ વખતે કૃષિ વિભાગે નવો કીર્તિમાન સ્થાપ્યો છે. મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે, વિધાનસભામાં વર્ષ 2026-27 નું અંદાજપત્ર મંજૂર થયાના ગણતરીના દિવસોમાં જ ખેડૂતો માટે પોર્ટલ ખોલનારો કૃષિ વિભાગ સંભવતઃ રાજ્યનો પ્રથમ વિભાગ બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ખેડૂતોની આવક બમણી કરવાના અને ખેતીને આધુનિક બનાવવાના મક્કમ નિર્ધાર સાથે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કુલ 148 ઘટકો માટે સહાયની સુવિધાઆ વર્ષે ખેડૂતો અને પશુપાલકો વિશાળ શ્રેણીમાં સહાય મેળવી શકશે. જેમાં મુખ્યત્વે ત્રણ વિભાગોનો સમાવેશ થાય છે: ખેતીવાડી ખાતું: 42 વિવિધ ઘટકો બાગાયત ખાતું: 94 વિવિધ ઘટકો પશુપાલન ખાતું: 12 વિવિધ ઘટકો આમ, કુલ 148 જેટલા કૃષિ અને પશુપાલનલક્ષી ઘટકો હેઠળ ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે. કયા સાધનો અને સુવિધાઓ પર મળશે સહાય? આધુનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા ટ્રેક્ટર, કમ્બાઈન હાર્વેસ્ટર, રોટાવેટર, લેસર લેન્ડ લેવલર, પાવર ટીલર, ઓઈલ એન્જીન અને સ્માર્ટફોન જેવી ચીજવસ્તુઓની ખરીદી પર સબસીડી આપવામાં આવશે. આ ઉપરાંત, ખેત પેદાશોના રક્ષણ માટે કાંટાળા તારની વાડ, પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન), સોલાર પાવર યુનિટ અને પમ્પ સેટ્સ માટે પણ અરજી કરી શકાશે. બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે મીની ટ્રેક્ટર, નેટ હાઉસ, પોલીહાઉસ, કોલ્ડ સ્ટોરેજ તેમજ ફળ-ફૂલના વાવેતર માટે વિશેષ સહાયની જોગવાઈ છે. ખાસ કરીને ‘કમલમ’ (ડ્રેગન ફ્રૂટ) અને ઓઈલપામના વાવેતર માટે પણ પ્રોત્સાહન આપવામાં આવશે. પશુપાલકો માટેની યોજનાઓપશુપાલન ક્ષેત્રે સંકળાયેલા મિત્રો માટે કેટલ શેડ બાંધકામ, નવા ડેરી ફાર્મની સ્થાપના, મરઘાંપાલન તાલીમ માટે સ્ટાઈપેન્ડ, તેમજ પાડી-વાછરડી ઉછેર અને બકરાં એકમ સ્થાપવા માટે પણ સહાય જાહેર કરવામાં આવી છે. અરજી પ્રક્રિયા અને ઝડપી નિકાલખેડૂતો માટે અરજી કરવાની પ્રક્રિયા અત્યંત સરળ રાખવામાં આવી છે. ખેડૂતો આધાર કાર્ડ દ્વારા ઓથેન્ટિકેશન કરીને પોતે અથવા ગ્રામ પંચાયત સ્તરેથી ઓનલાઈન નોંધણી કરાવી શકશે. મંત્રીએ ખાતરી આપી છે કે અરજીઓની છેલ્લી તારીખની રાહ જોયા વગર, જેમ જેમ અરજીઓ આવશે તેમ તેમ તેની ચકાસણી કરીને પાત્રતા ધરાવતા ખેડૂતોને તુરંત સબસીડી ચૂકવવામાં આવશે. રાજ્યના તમામ ખેડૂતોને વહેલી તકે જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી આ યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 3:09 pm

દારૂની 3 હજાર બોટલ પર રોલર ફરી વળ્યું:વડોદરાના ઝોન 2ના 5 પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલા 16.53 લાખ રૂપિયાની કિંમતના વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો નાશ કરાયો

વડોદરા શહેરના ઝોન-2ના 5 પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલ 16.53 લાખ રૂપિયાના વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો કોયલી ચેક પોસ્ટ ખાતે કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, DCP ઝોન-2ના માર્ગદર્શન હેઠળ વાઘોડિયા રોડ પર નિર્ધારિત સ્થળે પોલીસ તથા વહીવટી અધિકારીઓની હાજરીમાં જપ્ત દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનાઓમાં જપ્ત થયેલા કુલ 3 હજારથી વધુ બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો, જેની કિંમત 16 53 લાખ રૂપિયા છે. આ કામગીરી દરમિયાન પોલીસ અધિકારીઓ, પોલીસ સ્ટાફ તથા સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. DCP ઝોન-2 મંજીતા વણઝારાએ જણાવ્યું હતું કે, ઝોન-2 વિસ્તારમાં આવતા વિવિધ પોલીસ સ્ટેશનોમાં અવારનવાર અંગ્રેજી દારૂ પર દરોડા પાડવામાં આવતા હોય છે. આ દરોડા દરમિયાન જે મુદ્દામાલ જપ્ત થાય છે, તેની નિકાલની કાર્યવાહી સમયાંતરે કરવામાં આવે છે. આ વખતે ઝોન-2 વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનોનો થઈને કુલ રૂ. 16,53,000ની કિંમતનો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ એક કાયદેસરની પ્રક્રિયા છે, જેમાં અમારી સાથે ઝોન-2 ના ઇન્ચાર્જ અધિકારીઓ, ફાયર બ્રિગેડની ટીમ અને એસ.ડી.એમ. (SDM) પણ હાજર રહ્યા હતા. સરકારી ધારાધોરણો મુજબ આ સમગ્ર બિનવારસી અથવા જપ્ત કરાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશન વાઇઝ કોઈ અલગ વિભાજન હોતું નથી. જ્યારે પણ દરોડા પડે, ત્યારે કેસની પ્રક્રિયા ચાલતી હોય છે. ત્યારબાદ કોર્ટમાંથી સૂચના અને પરવાનગી મળ્યા પછી જ આ આખી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. મુખ્ય હેતુ એ હોય છે કે પોલીસ સ્ટેશનોમાં લાંબા સમય સુધી મુદ્દામાલ ભરાઈ ન રહે. તેથી, કોર્ટની મંજૂરી બાદ સંયુક્ત રીતે આ નિકાલની કામગીરી કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 2:58 pm

ઈન્ડિગો એર સુવિધાથી ભાવનગરને ભારત સાથે જોડવાનો પ્રયાસ કરાશે:યુવરાજએ કહ્યું કાઠિયાવાડી ભાઈ-બહેનોને વિનંતી કરું છું કે તમે મુંબઈમાં કમાઓ અને ભાવનગરમાં આવીને ઉત્સવો-લગ્ન પ્રસંગો માણી અહીં ખર્ચ કરો, જેથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળે

8 મહિનાના ઈંતજાર બાદ મુંબઈની બે ફ્લાઈટ શરૂ, પર્યટન અને વેપારને મળશે વેગ 29મી માર્ચથી ભાવનગર-મુંબઈ વચ્ચે એર સુવિધા શરૂ થશે ભાવનગરના વિકાસમાં આખરે કનેક્ટિવિટીની પાંખો ઉમેરાઈ છે ત્યારે ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ ભાવનગર દ્વારા આયોજિત ખાસ કાર્યક્રમમાં ભાવનગરના યુવરાજ જયવિરરાજસિંહ ગોહિલ અને એસોસિએશનના હોદ્દેદારોએ ભાવનગર-મુંબઈ વચ્ચે શરૂ થઈ રહેલી ઇન્ડિગોની હવાઈ સેવાને આવકારી હતી, લગભગ 8 મહિનાના લાંબા વિરામ બાદ 29 મી માર્ચ થી ફરી શરૂ થઈ રહેલી આ એર સેવા ભાવનગર માટે ગેમ-ચેન્જર સાબિત થશે. ​હેરિટેજ અને કોસ્ટલ ટુરિઝમનો નવો અધ્યાય​આ પ્રસંગે ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોઈપણ શહેરના વિકાસ માટે બેઝિક કનેક્ટિવિટી અનિવાર્ય છે. ભાવનગરની મુંબઈ સાથેની કનેક્ટિવિટી 1940-50ના દાયકાથી છે, ત્યારે એક વર્ષનો આ ગેપ ચિંતાજનક હતો, તેમણે ઉમેર્યું કે, ​સરકારે યોગ્ય સમયે ફ્લાઈટ રિસ્ટાર્ટ કરી છે હું મુંબઈ સ્થિત કાઠિયાવાડી ભાઈ-બહેનોને વિનંતી કરું છું કે તમે મુંબઈમાં કમાઓ અને ભાવનગરમાં આવીને ઉત્સવો-લગ્ન પ્રસંગો માણી અહીં ખર્ચ કરો, જેથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળે, ભવિષ્યમાં ફરી ક્યારેય આવો એક વર્ષનો લાંબો ગેપ ન આવે તે માટે રાજકીય અને એરપોર્ટ તંત્ર સતર્ક રહે તેવી અપેક્ષા. ​ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ ભાવનગર (TAAB) એ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ઇન્ડિગો દ્વારા એકસાથે બે ફ્લાઈટ સવાર અને સાંજ શરૂ કરવામાં આવી રહી છે, ત્યારે આ માત્ર મુંબઈ પૂરતું સીમિત નથી, પરંતુ ભાવનગરના પ્રવાસીઓને હવે મદુરાઈ, ચેન્નાઈ, બેંગ્લોર, ગોવા અને નોર્થ-ઈસ્ટ જેવા સ્થળો માટે 'સેમ-ડે કનેક્ટિવિટી' મળશે, પ્રવાસીઓ હવે 4 થી 8 કલાકમાં ભારતના કોઈપણ છેડે પહોંચી શકશે, ભાવનગર થી નવી મુંબઈ અને નવી મુંબઈ થી ભાવનગરની ડેઈલી ફ્લાઈટ, હેરિટેજ, કોસ્ટલ અને એજ્યુકેશનલ ટુરિઝમમાં વધારો થવાની આશા, TAAB દ્વારા મેમ્બરશીપ વધારીને ભાવનગરના પ્રવાસન નકશાને મજબૂત બનાવવાની નેમ.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 2:54 pm

પાવાગઢમાં ચૈત્રી નવરાત્રી: ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું સઘન ચેકિંગ:20 ખાદ્ય પદાર્થોના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલાયા

પાવાગઢમાં ચૈત્રી નવરાત્રી પર્વ નિમિત્તે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. લાખો શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, ગોધરાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આ વિશેષ તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત, વિભાગની ચાર ટીમોએ પાવાગઢ તળેટી અને ડુંગર વિસ્તારમાં આવેલી વિવિધ ખાણી-પીણીની દુકાનો અને હોટલોમાં આકસ્મિક તપાસ કરી હતી. તપાસ દરમિયાન, તેલ, પાણી, મીઠું અને માવા જેવા પદાર્થોનું સ્થળ પર જ પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, તૈયાર ખોરાક અને મીઠાઈના કુલ 20 નમૂનાઓ મેળવીને તેમને પૃથક્કરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કે ગુણવત્તાનો અભાવ જણાશે, તો સંબંધિત વિક્રેતાઓ વિરુદ્ધ 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ' હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ચેકિંગ દરમિયાન, વેપારીઓને દુકાન અને રસોડામાં સંપૂર્ણ સ્વચ્છતા જાળવવા, ખોરાક બનાવતી અને પીરસતી વખતે સ્વચ્છતાનું ધ્યાન રાખવા, તેમજ ભવિષ્યમાં માત્ર શુદ્ધ અને ગુણવત્તાસભર ચીજવસ્તુઓનું જ વેચાણ કરવા સૂચના આપવામાં આવી હતી. આ ડ્રાઇવનો મુખ્ય ઉદ્દેશ્ય નવરાત્રી દરમિયાન માઈભક્તોને શુદ્ધ અને આરોગ્યપ્રદ આહાર મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 2:43 pm

પાણી માટે પાલિકાની ઘોર ઉદાસીનતા અને ગૃહિણીઓની વેદના.:​જૂનાગઢ મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા: અંબિકા નગરમાં સાડા ત્રણ મહિનાથી પાણીના ટીપા માટે ટળવળતા લોકો, અધિકારીઓનો વાસ્તવિકતાથી વેગળો લૂલો બચાવ.

​જૂનાગઢ શહેરની કથિત 'સ્માર્ટ' ગણાતી મહાનગરપાલિકાની અણઆવડત અને વહીવટી નિષ્ફળતાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના વોર્ડ નંબર 6 માં આવેલા અંબિકા નગર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા સાડા ત્રણ મહિનાથી પાણીની ગંભીર સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. પાલિકાની હાલત ગામડાંઓ કરતા પણ બત્તર થઈ ગઈ હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. સ્થાનિક સ્તરે અનેક રજૂઆતો કરવા છતાં તંત્રના બહેરા કાને કોઈ જ અવાજ પહોંચતો નથી, જેને કારણે લોકો પાણીના વાંકે હેરાન પરેશાન થઈ રહ્યા છે. ​સ્થાનિક મહિલા અસ્મિતાબેન શર્મા એ જણાવ્યું હતું કે અમે સિંધીની વાડી, અંબિકા વાડીની પાછળ અને ડોક્ટર ભીમાણી વાળી ગલીમાં વસવાટ કરીએ છીએ, પરંતુ છેલ્લા સાડા ત્રણ મહિનાથી અમારા વિસ્તારમાં નર્મદાનું પાણી આવતું નથી. જ્યારે પણ અમે પાલિકામાં રજૂઆત કરવા જઈએ છીએ ત્યારે અધિકારીઓ અને કર્મચારીઓ માત્ર એક જ રટણ કરે છે કે 'રિપેર થઈ જશે... રિપેર થઈ જશે...', પરંતુ આજ દિન સુધી લાઈન રિપેર કરવાની તસ્દી કોઈએ લીધી નથી. અમારી ગલીમાં કામના બહાને આડેધડ ખાડા કરી નાખવામાં આવ્યા છે, જેના કારણે ખાનગી ટેન્કર વાળા પણ અંદર આવવાની ના પાડે છે. અગાઉ જે પાણી આવતું હતું તે પણ અત્યંત દૂષિત અને ગંદી વાસવાળું હતું. પાણી આવવાનો કોઈ સમય નિશ્ચિત નથી, ક્યારેક સવારે, ક્યારેક બપોરે તો ક્યારેક મધ્યરાત્રિએ પાણી આવે છે. બે-બે કે ત્રણ-ત્રણ દિવસ સુધી પાણીના દર્શન થતા નથી અને કોઈ જવાબ આપવા તૈયાર નથી. અમારી માંગ છે કે તાત્કાલિક ધોરણે આ લાઈન રિપેર કરવામાં આવે. ​આ પીડામાં સુર પુરાવતા અન્ય એક સ્થાનિક મહિલા પુષ્પાબેન પ્રિયાણી એ જણાવ્યું હતું કે પાણીની મુશ્કેલી તો સૌને પડે છે અને જો તમને પણ આવી સમસ્યા હોય તો ખબર પડે કે કેવી હાલત થાય. અમે બહારથી પાણીના ટાંકા મંગાવીએ છીએ પણ એ કાંઈ આખો દિવસ પૂરા થતા નથી. સ્થિતિ એવી છે કે અમારે બીજાના ઘરે જઈને 'બાપા થોડું પાણી આપો ને' એમ કહીને ભિખારીની જેમ પાણી માંગવા જવું પડે છે. થોડા દિવસ પહેલા તંત્ર દ્વારા એવું આશ્વાસન અપાયું હતું કે અહીં ગટરનું કામ ચાલતું હોવાથી સાત દિવસમાં પાણી આવી જશે. આસપાસના વિસ્તારોમાં રિપેરિંગ થઈ રહ્યું હોવાનું સાંભળીને અમે ખુશ થયા હતા કે હવે અમારો વારો આવશે, પણ અત્યાર સુધી કોઈ ડોકાયું પણ નથી. નર્મદાના પાણીનું તો કોઈ ઠેકાણું નથી અને ઉનાળો હોવાથી અમારા બોરમાં પણ પાણી ખેંચાઈ ગયું છે. મુશ્કેલી તો પૂરેપૂરી છે પણ તંત્ર જાણે નિદ્રાધીન હોય તેમ લાગે છે. ​સમસ્યાની ગંભીરતા રજૂ કરતા અંબિકા નગર વોર્ડ નંબર 6 ના સ્થાનિક ગીતાબેન ગુરબાણી એ જણાવ્યું હતું કે સાડા ત્રણ મહિનાથી પાણી વગર અમે ત્રાહિમામ પોકારી ગયા છીએ. રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા હોવાથી ટેન્કર વાળા આવવાની સ્પષ્ટ ના પાડી દે છે. મારી ઉંમર 61 વર્ષની છે, હવે આ ઉંમરે અમારે પાણી ભરવા ક્યાં જવું? રસ્તામાં ગારો અને કીચડ એટલો છે કે જો અમે પડી જઈએ તો અમારું ધ્યાન કોણ રાખશે ? અધિકારીઓ સવારે કહે છે કે માણસો આવશે પણ પછી ફોન ઉપાડવાનું બંધ કરી દે છે. અમારે ઘરમાં સાત સભ્યો છીએ અને રોજનો એક પાણીનો ટાંકો જોઈએ. એક ટાંકાના 300 રૂપિયા ચૂકવવા પડે છે, જે મધ્યમ વર્ગ માટે મોટો આર્થિક બોજ છે. વાલ્વ ઓપરેટરને કહીએ તો એ લાઈન તૂટી હોવાનું બહાનું કાઢે છે. આ લોકો લાઈન રિપેર કરવામાં સાડા ત્રણ મહિના કેમ લગાડે છે તે એક મોટો પ્રશ્ન છે. ​એક તરફ મહિલાઓ પાણીના એક-એક ટીપા માટે વલખાં મારી રહી છે, ત્યારે બીજી તરફ જૂનાગઢ મહાનગરપાલિકાના વોટર વર્ક શાખાના અધિકારી અલ્પેશ ચાવડાએ એસી ઓફિસમાં બેસીને આંકડાકીય માયાજાળ રચી લૂલો બચાવ કર્યો હતો. તેમને જનતાની તરસ કરતા ડેમના ફૂટમાં વધુ રસ હોય તેમ જણાયું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે શહેરને પાણી પૂરું પાડતા હસનાપુર, વિલિંગ્ડન અને આનંદપુર ડેમમાં અત્યારે પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. હસનાપુરમાં 29 ફૂટ અને વિલિંગ્ડનમાં પણ પાંચેક ફૂટ જેટલું ડિપ્લીશન લેવલ હોવા છતાં પાણીનો જથ્થો પૂરતો છે. તેમના મતે આગામી ઉનાળામાં કોઈ પાણી કાપની જરૂર નથી. ​ જમીની હકીકત એ છે કે પાઈપલાઈનો તૂટેલી છે અને રિપેરિંગના નામે માત્ર કાગળ પર ઘોડા દોડાવાય છે. 'પર્યાપ્ત જથ્થો' હોવાની વાત એ લોકો માટે ક્રૂર મજાક સમાન છે જેઓ સાડા ત્રણ મહિનાથી નળમાં પાણીની પ્રતીક્ષા કરી રહ્યા છે. મહાનગરપાલિકાના અધિકારીઓના આવા બચાવ પરથી સ્પષ્ટ થાય છે કે તેમને લોકોની વેદના કરતા સરકારી ચોપડામાં બધું 'ઓલ ઈઝ વેલ' બતાવવામાં જ રસ છે. આ જોતા લાગે છે કે પાલિકાના શાસકો અને અધિકારીઓ જૂનાગઢને સ્માર્ટ સિટી બનાવવાના બદલે સમસ્યાઓનું શહેર બનાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 2:39 pm

PM-RAHAT યોજનામાં અકસ્માત પીડિતોને ₹1.5 લાખની મફત સારવાર:સુરેન્દ્રનગરમાં નિવાસી અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં યોજનાના અમલીકરણની સમીક્ષા

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર બી.એ.પટેલના અધ્યક્ષ સ્થાને “પ્રાઇમ મિનિસ્ટર રોડ એક્સિડેન્ટ વિક્ટીમ્સ હોસ્પિટલાઇઝેશન એન્ડ એશ્યોર્ડ ટ્રીટમેન્ટ સ્કીમ (PM-RAHAT)” ના અમલીકરણ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ યોજના હેઠળ માર્ગ અકસ્માતના પીડિતોને 'ગોલ્ડન અવર'માં ત્વરિત સારવાર મળી રહે તે હેતુથી ₹1.5 લાખ સુધીની નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવશે. પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી એમ.ડી. પાનશેરિયાએ પ્રેઝન્ટેશન દ્વારા જણાવ્યું હતું કે, અકસ્માતનો ભોગ બનનાર દર્દીને PMJAY આયુષ્માન કાર્ડ યોજના સાથે સંકળાયેલી હોસ્પિટલોમાં 7 દિવસ સુધી ₹1.5 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે મળશે. અન્ય ખાનગી હોસ્પિટલોમાં પણ પીડિતને જોખમમાંથી બહાર લાવવા માટે તાત્કાલિક 'સ્ટેબિલાઇઝેશન ટ્રીટમેન્ટ' મફત પૂરી પાડવામાં આવશે, જેથી આર્થિક સંકડામણને કારણે કોઈ વ્યક્તિ જીવ ન ગુમાવે. યોજનાની પારદર્શિતા માટે પોલીસ દ્વારા 'E-DAR' (ઇલેક્ટ્રોનિક ડિટેલ્ડ એક્સિડેન્ટ રિપોર્ટ) પર 'વિક્ટીમ આઇ.ડી.' જનરેટ કરવામાં આવશે. આ આઇડીને હોસ્પિટલની 'TMS' (ટ્રાન્જેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ) સાથે લિંક કરાશે, જેનાથી સારવાર પ્રક્રિયા પેપરલેસ અને ઝડપી બનશે. અકસ્માતની જાણ 112 નંબર પર થતાં જ એમ્બ્યુલન્સ પીડિતને નજીકની હોસ્પિટલમાં ખસેડશે. વીમો ન ધરાવતા વાહનો કે 'હિટ એન્ડ રન'ના કિસ્સામાં સરકાર દ્વારા જિલ્લા કલેક્ટરની સત્તા હેઠળ સારવારની રકમની ચુકવણી કરવામાં આવશે. નિવાસી અધિક કલેક્ટર બી.એ. પટેલે આરોગ્ય વિભાગ, પોલીસ, RTO અને 108 ઇમર્જન્સી સેવા સહિતના તમામ સંબંધિત વિભાગોને યોજનાના અમલીકરણ માટે સંકલનમાં રહીને કામ કરવા અને જરૂરી તાલીમ પૂર્ણ કરવા સૂચના આપી હતી. આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક પાર્થ સી.પરમાર, ચીફ ડીસ્ટ્રીકટ મેડીકલ ઓફિસર ચૈતન્ય પરમાર, ચીફ ડીસ્ટ્રીકટ હેલ્થ ઓફિસર ડો. બી.જી.ગોહિલ, RCHO, RTO કચેરીના અધિકારીઓ, PMJAY હેઠળ નોંધાયેલ સરકારી તથા ખાનગી હોસ્પિટલોના મુખ્ય તબીબી અધિકારીઓ, 108 જિલ્લા કો-ઓર્ડીનેટર અને આયુષ્યમાન ભારત જિલ્લા પ્રોગ્રામ કો-ઓડીનેટર સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 2:19 pm

બનાસકાંઠા પેન્શનર્સ એસોસિયેશનની કલેક્ટરને રજૂઆત:વેલિડેશન 2025 નાણા બિલ પરત ખેંચવા માંગણી

બનાસકાંઠા પેન્શનર્સ એસોસિયેશન દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી વેલિડેશન 2025 નાણા બિલ પરત ખેંચવા બાબતે રજૂઆત કરવામાં આવી છે. પેન્શનર્સ એસોસિયેશનના સભ્યોએ જિલ્લા સેવા સદન 2 ખાતેથી રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. કલેક્ટરને કરાયેલી લેખિત રજૂઆત મુજબ, કેન્દ્ર સરકારને તેના પેન્શનરોને વર્ગીકૃત કરવાનો અને તેમની વચ્ચે ભેદ જાળવવાનો અધિકાર છે તે સિદ્ધાંતને માન્ય કરતો કાયદો 25 માર્ચ, 2025 થી અમલમાં આવ્યો છે. આ કાયદો કોઈપણ પૂર્વ સૂચના વિના નાણાં બિલના ભાગરૂપે રજૂ કરવામાં આવ્યો હતો અને 25 માર્ચ, 2025 ના રોજ લોકસભા દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો. જો આ કાયદો અક્ષરશઃ અમલમાં મૂકવામાં આવે, તો પેન્શનરોની નિવૃત્તિની તારીખ પેન્શન હકદારીના સંદર્ભમાં ભેદ અને વર્ગીકરણનો આધાર બનશે. આનાથી કેન્દ્રીય પગારપંચના કાર્યકાળ પહેલાના પેન્શનરો પગાર પંચની ભલામણોના લાભો ગુમાવશે. હાલના પેન્શનરોને આ મુશ્કેલ સમયમાં પેન્શન વધારવાનો અધિકાર ન મળતા ભારે નુકસાન થશે. પેન્શનર્સ એસોસિયેશનનું કહેવું છે કે, આ કાયદો સરકારના જાહેર કરાયેલા ઇરાદાઓ વિરુદ્ધ છે, જે તેના તમામ નાગરિકોને ન્યાય અને સામાજિક સુરક્ષા પૂરી પાડવાનો પ્રયાસ કરે છે. આ ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયિક ચુકાદાઓની પણ વિરુદ્ધ છે. માનનીય સુપ્રીમ કોર્ટે ડી.એસ. નાકરા અને અન્ય વિરુદ્ધ ભારત સંઘના કેસ (નાકરા જજમેન્ટ તરીકે જાણીતો) માં અવલોકન કર્યું હતું કે, પેન્શન એ એક સામાજિક કલ્યાણકારી પગલું છે જે એવા લોકોને સામાજિક-આર્થિક ન્યાય આપે છે જેઓ તેમના જીવનના સૌથી મુશ્કેલ દિવસોમાં છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, પેન્શન યોજનાના ધ્યેયો પેન્શનરોને ગરીબીથી મુક્ત, શિષ્ટાચાર, સ્વતંત્રતા અને નિવૃત્તિ પહેલાના સ્તરે પ્રમાણભૂત સમકક્ષ જીવન જીવવા માટે ટેકો આપવાનો હતો. કોર્ટે એ પણ પ્રશ્ન કર્યો હતો કે શું સુધારેલી પેન્શન યોજના ફક્ત નિર્દિષ્ટ તારીખ પછી નિવૃત્ત થનારાઓ માટે જ પૂરતી હતી, જ્યારે પહેલાથી નિવૃત્ત થયેલા લોકોએ વધતી કિંમતો અને રૂપિયાની ઘટતી ખરીદ શક્તિનો ભોગ લીધો ન હતો. આ કાયદો હાલના પેન્શનરોને ન ભરવાપાત્ર નુકસાન પહોંચાડે છે. 7મા કેન્દ્રીય પગાર પંચ દ્વારા 01-01-2016 પહેલા નિવૃત્ત થયેલા અને 01-01-2016 ના રોજ અને તે પછી નિવૃત્ત થયેલા ભૂતકાળના પેન્શનરોમાં સમાનતા રાખવાની ભલામણ કરવામાં આવી હતી, જેને કેન્દ્ર સરકારે સ્વીકારી હતી. આ સંજોગોમાં, ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનર્સ ફેડરેશન દ્વારા 25 માર્ચ, 2026 ના રોજ 'વિરોધ દિવસ' મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પેન્શનર્સ એસોસિયેશને કલેક્ટરને વિનંતી કરી છે કે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) નિયમો અધિનિયમના માન્યતાને પાછી ખેંચવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 2:16 pm

'કિરણ હોસ્પિટલ બાળકોને મારવા માટે ખોલી છે':કતારગામમાં પરિવારે ડોક્ટરો પર બેદરકારીના આક્ષેપ કર્યા; કહ્યું- ડોક્ટરનું લાઇસન્સ રદ કરો અને અમારી સામે લાવો

સુરત શહેરની જાણીતી અને પ્રતિષ્ઠિત ગણાતી કતારગામ સ્થિત કિરણ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. ડિલિવરી સમયે નવજાત બાળકનું મોત નિપજતા પરિવારજનોએ હોસ્પિટલના ડોક્ટરો પર ગંભીર બેદરકારીના આક્ષેપ કરી ભારે હોબાળો મચાવ્યો હતો. સ્થિતિ વણસતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. નવજાતને સમયસર યોગ્ય સારવાર આપવામાં ન આવી હોવાનો આક્ષેપએક ગર્ભવતી મહિલાને ડિલિવરી માટે કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડિલિવરી બાદ બાળકની તબિયત નાજુક હોવા છતાં તેને સમયસર યોગ્ય સારવાર આપવામાં ન આવી હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે. સારવારના અભાવે નવજાત બાળકે જીવ ગુમાવ્યો હોવાની વાત ફેલાતા જ પરિવારજનો અને સંબંધીઓ રોષે ભરાયા હતા. ડોક્ટરોની બેદરકારીએ જીવ લીધો હોવાનો પરિવારનો આક્ષેપપરિવારજનોનું કહેવું છે કે, બાળકની સ્થિતિ અંગે હોસ્પિટલ તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. જ્યારે તાત્કાલિક સારવારની જરૂર હતી, ત્યારે ડોક્ટરો દ્વારા વિલંબ કરવામાં આવ્યો. હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટરોની બેદરકારીને કારણે જ તેમનું બાળક મોતને ભેટ્યું છે. પોલીસે હોસ્પિટલમાં પહોંચી મામલો શાંત પાડ્યોહોસ્પિટલમાં હોબાળાની જાણ થતા જ કતારગામ પોલીસનો કાફલો તાત્કાલિક કિરણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે ઉશ્કેરાયેલા પરિવારજનોને સમજાવી મામલો શાંત પાડ્યો હતો. હાલ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી, નવજાત બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે. જવાબદાર ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માગપીડિત પરિવારે હોસ્પિટલના જવાબદાર ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની અને તેમને ન્યાય અપાવવાની માગ કરી છે. બીજી તરફ, પોલીસે ડોક્ટરો અને હોસ્પિટલ સ્ટાફના નિવેદનો લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. મેડિકલ રિપોર્ટ અને પોસ્ટમોર્ટમ બાદ જ ખબર પડશે કે બાળકના મોત પાછળનું ચોક્કસ કારણ શું હતું. આ મામલે કિરણ હોસ્પિટલ પ્રશાસન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. મેડિકલમાં બે કલાક વેઇટ કરાવે અને ડોક્ટર ધ્યાન જ નથી આપતા: પિતારાહુલ કાતરિયા (પિતા) એ જણાવ્યું હતું કે, અત્યારે કિરણ હોસ્પિટલમાં છું. અમે અહીં સવારે ડિલિવરી માટે દાખલ થયા હતા. સવારે 10 વાગ્યે દાખલ થયા અને 4 વાગ્યે ડોક્ટરે એમ કીધું કે ભાઈ તમારું બાળક બચે એમ નથી. કોઈ જાતની કોઈ સારવાર અમને મળી નથી. અંદર કોઈ સરખો જવાબ આપતા નથી. મેડિકલમાં દવા લેવા જઈએ તો પણ બબ્બે કલાક વેઈટ કરાવે છે. એ લોકો અંદર ગેમ રમે છે, બધું રમે છે પણ કોઈ સામે જવાબ આપતું નથી. જેને પૂછીએ એ ઊંધા ઊંધા જવાબ આપે છે અને ડોક્ટર તો ધ્યાન જ નથી આપતા, અહીંના ડોક્ટર ધ્યાન જ નથી દેતા. ‘10 મિનિટમાં બાળક નથી રહ્યું કહી દીધું’ડોક્ટરને મેં કીધું કે ભાઈ આનું શું કરવું? છેલ્લે લાસ્ટમાં 10 મિનિટમાં એમ કહે છે કે તમારા બાળકને ધબકારા નથી, ત્યાં સુધી બધું સારું રહે છે. 10 મિનિટમાં છેલ્લે એમ કહે છે કે હવે તમારું બાળક બચી શકે એમ નથી. મારી માગ એ જ છે કે ડોક્ટર ૠત શાહ અને કિરણ હોસ્પિટલમાં કોઈ આવે નહીં અને ડોક્ટરનું લાઈસન્સ કેન્સલ થાય. મારી એ જ માગ છે. અમને ન્યાય જ જોઈએ છે. એણે અમને 11 વાગ્યાના ગોળ ગોળ ફેરવીને છેલ્લે એમ કીધું કે હવે કાંઈ વધ્યું નથી, કાંઈ બચી શકે એમ છે નહીં. સવારે અમને 10 વાગ્યે એમ કીધું હતું કે નોર્મલ ડિલિવરી થશે. ‘ઈમરજન્સીમાં સીઝર કરી નાખ્યું’કોમલ ઘોઘારી (પરિવારજન) એ જણાવ્યું હતું કે, કિરણ હોસ્પિટલમાં મારા ભાભીને ડિલિવરી ટાઈમ હતો એટલે અમે અહીં તપાસ કરાવવા આવ્યા હતા. ડોક્ટરે કીધું કે તમારે દુખાવો છે ડિલિવરીનો, તમે એડમિટ થઈ જાઓ. અમે લોકો એડમિટ થયા 10 વાગે અને એ લોકોએ ધ્યાન નથી દીધું. એડમિટ કર્યા પણ એણે કોઈ પ્રોસેસ ચાલુ નથી કરી. એણે સાડા ચાર સુધી કોઈ પ્રોસેસ નથી કરી. સાડા ચારે સોય નાખી મારા ભાભીને અને એક બોટલ ચડાવ્યો, બાકી કોઈ પ્રોસેસ કરી નથી. પછી સાડા પાંચે એ લોકો પાછા આવ્યા અને ધબકારા માપ્યા, ત્યારે બાળકના ધબકારા હતા નહીં. એટલે એણે ઈમરજન્સીમાં સીઝર કરવાનું નક્કી કર્યું. અમે લોકોએ હા પાડી દીધી કે વાંધો નહીં સીઝર કરી નાખો એમ. ‘ડોક્ટરનું લાઈસન્સ રદ કરો’તો પણ સીઝર કરવાનું હતું ત્યારે એણે કહી જ દીધું હતું કે તમારા બાળકના ચાન્સ ઓછા છે એમ. સીઝરમાં લઈ ગયા અને દસ જ મિનિટ થઈ ત્યાં પાછા આવ્યા કે તમારા બાળકના ચાન્સ નથી, પેશન્ટ બરોબર છે અને બાળકના ડોક્ટર તમને કહેશે એમ. ત્યાં દસ મિનિટમાં બાળકના ડોક્ટર પણ આવ્યા, એણે કીધું કે બાળક નથી રહ્યું. એટલે આ ડોક્ટરની, જે મેઈન ડોક્ટર છે ને ઋત શાહ આ એની જ ભૂલ છે. એણે અમારા પેશન્ટ ઉપર સહેજ પણ ધ્યાન નથી દીધું. આ બધી ભૂલ એની જ છે, અમારા બાળકને એણે મારી નાખ્યું છે. એટલે અમારે ન્યાય જોઈએ છે. ડોક્ટરનું લાઈસન્સ રદ કરો અને ડોક્ટરને અમારી સામે લાવો. ‘ડોક્ટરની કોઈ એટલે કોઈ જવાબદારી લેતું જ નથી’આ મોટામાં મોટી હોસ્પિટલ છે પણ નામ બહુ નાનું થઈ ગયું છે એનું. ડોક્ટરની કોઈ એટલે કોઈ જવાબદારી લેતું જ નથી. એ લોકો નાસ્તા કરે છે, અહીંયા પેશન્ટ દુખી થતું હોય અને એ લોકો નાસ્તા કરે છે. અમારી સામે બધા પેશન્ટ સામો રાડો નાખતા હતા, અમે બધું જોયું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આધારે આગળની કાર્યવાહી થશે: PIકતારગામ પોલીસ સ્ટેશનના પીઆઇ બી.કે.ચૌધરીએ જણાવ્યું હતું કે, પરિવારના આક્ષેપો પ્રમાણે હાલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે અને ત્યારબાદ આ રિપોર્ટને મેડિકલ બોર્ડમાં મોકલવામાં આવશે અને તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 2:12 pm

ભાજપ યુવા મોરચાના પ્રમુખ પદ માટે ઉંમર-અટક બદલ્યાનો આક્ષેપ:સુરતમાં અનામી પત્રમાં પુરાવાઓની હારમાળા સાથે તપાસની માંગ, બિપીન તળાવિયાનો ગોળ-ગોળ જવાબ

સુરત મનપાની આગામી ચૂંટણીઓ પહેલા જ ભાજપના સંગઠનમાં ભૂકંપ સર્જાય તેવો પત્ર વાયરલ થયો છે. સુરત શહેર ભાજપ યુવા મોરચાના નવનિયુક્ત પ્રમુખ બિપીન તળાવિયા (પટેલ)ની નિમણૂકને હજુ એક મહિનો પણ નથી થયો ત્યાં તેની ઉંમરને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. વાયરલ થયેલા એક પત્ર અને દસ્તાવેજો મુજબ, બિપીન તળાવિયાએ હોદ્દો મેળવવા માટે પોતાની અસલી ઉંમર છુપાવી અને અટક બદલ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જોકે ભાસ્કરે બિપીન તળાવિયાનો સંપર્ક કરતાં ગોળ-ગોળ જવાબ આપ્યા છે. મતદાર યાદીના સ્ક્રીનશોટ ફરતા થયા સુરત ભાજપના આંતરિક વર્તુળોમાં ચર્ચા છે કે આ વિવાદ કોઈ વિરોધી પક્ષે નહીં, પરંતુ ભાજપના જ કોઈ નારાજ કાર્યકર્તા કે નજીકની વ્યક્તિએ છેડ્યો છે. બિપીન તળાવિયાના જન્મના દાખલા, પાલિકાની વેબસાઈટ પરની વિગતો અને મતદાર યાદીના સ્ક્રીનશોટ ફરતા થયા છે. શું આ ડોક્યુમેન્ટ સીધા જ પ્રમુખની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ચિન્હ મૂકે છે. વાયરલ થયેલા દસ્તાવેજો ઉંમર ખોટી દર્શાવી હોવાનો આક્ષેપભાજપના નિયમ મુજબ યુવા મોરચામાં હોદ્દેદારોની ઉંમર 35 વર્ષથી ઓછી હોવી જોઈએ. જોકે, વાયરલ થયેલા દસ્તાવેજો મુજબ બિપીન તળાવિયાની સાચી જન્મતારીખ 10 એપ્રિલ 1989 છે. આ હિસાબે નિમણૂક સમયે તેમની ઉંમર 36 વર્ષ અને 10 મહિના એટલે કે લગભગ 37 વર્ષ થવા જાય છે. આક્ષેપ છે કે તેમણે ખોટું આધારકાર્ડ રજૂ કરી પોતાની જન્મ તારીખ 10 એપ્રિલ 1991 દર્શાવી છે. નામ અને અટક બદલવાનો આક્ષેપ કરાયો છેમાત્ર ઉંમર જ નહીં, પરંતુ અટકને લઈને પણ વિવાદ સર્જાયો છે. મળતી માહિતી મુજબ, સરકારી રેકોર્ડમાં તેમનું નામ બિપીન વિનુભાઈ પટેલ છે અને અટક 'પટેલ' છે. પરંતુ SMIARની યાદીમાં 'તળાવિયા' અટક જોવા મળે છે. પત્રમાં એવો પણ દાવો કરાયો છે કે પાછળથી પટેલમાંથી પેટા અટક 'તળાવિયા' લખાવીને વિગતોમાં ફેરફાર કરવાનો પ્રયાસ કરાયો હોય શકે છે. અનામી પત્ર વાયરલ, 'ખરેખર યુવાઓ સાથે અન્યાય ન કરો'આ સમગ્ર મામલે સુરત ભાજપ કાર્યાલય સુધી એક અનામી પત્ર પહોંચ્યો છે. ભાજપના જ એક યુવા કાર્યકર્તાઓ દ્વારા લખાયેલા આ પત્રમાં ઉગ્ર રોષ ઠાલવવામાં આવ્યો છે. પત્રમાં લખ્યું છે કે, 'જો ઓવરએજ વ્યક્તિ જ યુવા મોરચાનું નેતૃત્વ કરશે, તો ખરેખર મહેનત કરતા યુવાન કાર્યકર્તાઓ સાથે અન્યાય થશે. અમારી લાગણી છે કે તાત્કાલિક નવા અને લાયક અધ્યક્ષની નિમણૂક કરવામાં આવે.' પત્રમાં પુરાવાઓની હારમાળા, તપાસ કરવા માંગઅનામી પત્રમાં પડકાર ફેંકવામાં આવ્યો છે કે જો પક્ષના મોવડી મંડળને વિશ્વાસ ન હોય તો બિપીન તળાવિયાની ધોરણ 10ની માર્કશીટ, અસલી જન્મ દાખલો અને પાનકાર્ડ મંગાવીને તપાસ કરવી જોઈએ. ગુજરાત સરકારની સત્તાવાર બર્થ રજીસ્ટ્રેશન વેબસાઈટ પર પણ આ વિગતો ચકાસવા વિનંતી કરાઈ છે. બિપીન તળાવિયાનો ગોળ-ગોળ જવાબજ્યારે આ વિવાદ અંગે ભાસ્કર દ્વારા યુવા મોરચાના પ્રમુખ બિપીન તળાવિયાનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે કોઈ સ્પષ્ટ ખુલાસો કરવાને બદલે ગોળ-ગોળ જવાબો આપ્યા હતા. તેમણે માત્ર એટલું જ કહ્યું કે, 'બધું બરાબર છે, મેં ચેક કરી લીધું છે. અત્યારે મને વધારે ખબર નથી, હું થોડી વારમાં ફોન કરું છું.' પાલિકા ચૂંટણી પહેલા ભાજપની છબી ખરડાઈસુરત મહાનગરપાલિકાની ચૂંટણીઓ નજીક છે ત્યારે શાસક પક્ષ ભાજપ માટે આ વિવાદ ગળાનું હાડકું બન્યો છે. એક તરફ ભાજપ શિસ્ત અને નિયમોની વાતો કરે છે, બીજી તરફ સંગઠનના પાયાના ગણાતા યુવા મોરચામાં જ જો નિયમોનું ઉલ્લંઘન થયું હોય તો જનતામાં નકારાત્મક સંદેશ જવાની ભીતિ છે. જન્મતારીખના પુરાવા અને મતદાર યાદીની વિગતો વાયરલઆજના ડિજિટલ યુગમાં સરકારી રેકોર્ડ ઓનલાઈન હોવાથી કંઈપણ છુપાવવું મુશ્કેલ છે. સોશિયલ મીડિયા પર જે રીતે જન્મતારીખના પુરાવા અને મતદાર યાદીની વિગતો વાયરલ થઈ છે, તે જોતા પક્ષ માટે આ મામલે આંખ આડા કાન કરવા મુશ્કેલ બનશે. વિરોધ પક્ષો પણ આ મુદ્દે સોશિયલ મીડિયા પર ભાજપને ઘેરવાની તૈયારી કરી રહ્યા છે. હવે શું? હાઈકમાન્ડના નિર્ણય પર મીટહવે જોવાનું એ રહેશે કે સુરત શહેર ભાજપ પ્રમુખ અને પ્રદેશ નેતાગીરી આ મામલે શું પગલાં લે છે. શું બિપીન તળાવિયા પાસે રાજીનામું માંગવામાં આવશે કે પછી તપાસના નામે મામલો થાળે પાડવામાં આવશે? યુવા કાર્યકર્તાઓ અત્યારે 'વેઈટ એન્ડ વોચ' ની સ્થિતિમાં છે, પરંતુ આંતરિક વિખવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે તે સ્પષ્ટ છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 2:10 pm

શનિવારે મુખ્યમંત્રી રાજકોટમાં:પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતેથી ચૂંટણી પૂર્વે રૂ.632 કરોડનાં પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરશે, લોકોને રોડ-રસ્તા, પાણી અને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સહિતની ભેંટ મળશે

રાજકોટ સહિત રાજ્યની મહાપાલિકાઓમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. હાલમાં મહાનગરોમાં ચૂંટાયેલી પાંખનું અસ્તિત્વ નથી અને વહીવટદારો દ્વારા શાસન ચલાવાઈ રહ્યું છે. જોકે, હજુ સત્તાવાર આચારસંહિતા લાગુ થઈ ન હોવાથી મહાપાલિકા તંત્ર દ્વારા રાજકોટનાં જુદા-જુદા વિકાસકામોનાં લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આમંત્રણ અપાયું હતું. જે અંતર્ગત આગામી 28 માર્ચને શનિવારે સીએમ ભુપેન્દ્ર પટેલ રાજકોટ આવશે. અને પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતેથી રૂ.632 કરોડનાં પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહુર્ત મુખ્યમંત્રીનાં હસ્તે કરવામાં આવશે. જેમાં લોકોને રોડ- રસ્તા, પાણી અને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સહિતની મોટી ભેંટ મળશે. પ્રાપ્ત વિગત અનુસાર આચારસંહિતા પહેલા અનેક મોટા કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાવવા મનપા તંત્ર દ્વારા ગત સપ્તાહે સમય માંગવામાં આવ્યો હતો. પરંતુ સમય ન મળતા હવે 28 માર્ચનાં શનિવારે સીએમ ભુપેન્દ્ર પટેલનાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ રૈયારોડ પર આવેલા પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાશે. આગામી શનિવારનાં રોજ બપોરે 4થી 5 દરમિયાન યોજાનારા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં હસ્તે રોડ-રસ્તા, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સહિત રૂ. 543 કરોડનાં ખાતમુહૂર્ત અને ઘંટેશ્વર તેમજ રૈયાધાર STP અને પંપિંગ સ્ટેશન સહિત રૂ. 88 કરોડનાં લોકાર્પણ મળી રૂ. 632 કરોડનાં પ્રકલ્પોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રીનાં હસ્તે કરવામાં આવશે. મુખ્યમંત્રીનો આ કાર્યક્રમ ફાઇનલ થતા જ મહાપાલિકા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં જુદી-જુદી 24 સમિતિ બનાવી 100 કરતા પણ વધુ કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ કાર્યક્રમ માટે કોર્પોરેશન ઉપરાંત જિલ્લા કલેકટર તેમજ પોલીસ તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આગામી શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટના મહેમાન બને ત્યારે કોઈપણ કચાશ ન રહે તે માટે તમામ વિભાગોનાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઝીણવટભરી રીતે ગોઠવણ કરવામાં આવી રહી છે. રૂ. 632 કરોડના વિકાસ કામોની ભેટ રાજકોટના મહેમાન બનનારા મુખ્યમંત્રીના હસ્તે કુલ રૂ. 632 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. જેમાં કુલ રૂ. 543 કરોડના ખાતમુહૂર્ત અને રૂ. 88 કરોડનાં લોકાર્પણ પણ સામેલ છે. ખાતમુહૂર્ત થનારા કામો પૈકી મોટાભાગના તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની છેલ્લી બેઠકમાં મંજૂર કરવામાં આવ્યા હતા. આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, પાણી વ્યવસ્થાપન મજબૂત બનાવવા, ડ્રેનેજ સુવિધા વિસ્તૃત કરવા, માર્ગ તેમજ પ્રકાશ વ્યવસ્થા સુધારવા સહિત 44 વિવિધ પ્રકલ્પોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીનાં હસ્તે લોકાર્પણ થનાર પ્રકલ્પો રાજકોટ મહાનગરપાલિકાના વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા કુલ રૂ. 88.25 કરોડના 4 મહત્વપૂર્ણ પાણી અને સુએજ વ્યવસ્થાપન સંબંધિત પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રકલ્પો શહેરમાં વધતી વસ્તી અને વિસ્તરતા વિસ્તારમાં આધુનિક સુએજ ટ્રીટમેન્ટ અને પાણી સંગ્રહ સુવિધા મજબૂત બનાવશે. રૈયાધાર ખાતે 23 MLD ક્ષમતાનો નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટવોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા રૂ. 33.30 કરોડના ખર્ચે રૈયાધાર ખાતે હાલના 56 MLD STP પાસે 23 MLD ક્ષમતાનો નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. આ પ્રકલ્પમાં 5 વર્ષ માટે કોમ્પ્રેહેન્સિવ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ કાર્યરત થતા વિસ્તારમાં સુએજ ટ્રીટમેન્ટ ક્ષમતા વધશે તથા પર્યાવરણ સંરક્ષણમાં પણ મદદરૂપ બનશે. ઘંટેશ્વર વિસ્તાર માટે 15 MLD ક્ષમતાનો નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટવોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા રૂ. 30.85 કરોડના ખર્ચે ઘંટેશ્વર વિસ્તાર માટે 15 MLD ક્ષમતાનો નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. સાથે 5 વર્ષ માટે કોમ્પ્રેહેન્સિવ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રકલ્પથી નવા વિકસતા વિસ્તારોમાં સુએજ નિકાલની સુવિધા સુવ્યવસ્થિત બનશે. ઘંટેશ્વર વિસ્તાર માટે સીવેજ પમ્પીંગ સ્ટેશન અને પાઈપલાઈનનું કામવોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા રૂ. 15.81 કરોડના ખર્ચે ઘંટેશ્વર વિસ્તારમાં સીવેજ પમ્પીંગ સ્ટેશન-1 અને સીવેજ પમ્પીંગ સ્ટેશન-2 બનાવવામાં આવ્યા છે. સાથે રાઈઝીંગ મેઈન પાઈપલાઈન નાખવાની કામગીરી, પમ્પીંગ મશીનરી SITC તેમજ પમ્પીંગ સ્ટેશન માટે 2 વર્ષના કોમ્પ્રેહેન્સિવ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનો સમાવેશ થાય છે. આ પ્રકલ્પથી વિસ્તારમાં ડ્રેનેજ વ્યવસ્થા વધુ અસરકારક બનશે. રેલનગર હેડવર્ક્સ ખાતે 139 લાખ લીટર ક્ષમતાનો જી.એસ.આર.વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા રૂ. 8.27 કરોડના ખર્ચે રેલનગર હેડવર્ક્સ ખાતે 139 લાખ લીટર ક્ષમતાનો ગ્રાઉન્ડ સર્વિસ રિઝર્વોઇર (GSR) બનાવવામાં આવ્યો છે. આ પ્રકલ્પથી પાણી સંગ્રહ ક્ષમતા વધશે અને શહેરના વિસ્તારોમાં પાણી પુરવઠો વધુ સુવ્યવસ્થિત રીતે ઉપલબ્ધ બનશે. આમ રૂ. 88.25 કરોડના 4 પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવશે. મુખ્યમંત્રીનાં હસ્તે ખાતમુહૂર્ત થનાર પ્રકલ્પો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નવા વિકાસકાર્યો હાથ ધરવા માટે કુલ રૂ. 543.89 કરોડના 40 પ્રકલ્પોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રકલ્પો વિવિધ વિભાગો દ્વારા અમલમાં મૂકવામાં આવશે. બાંધકામ વિભાગબાંધકામ વિભાગ દ્વારા શહેરના માર્ગો, નગર સુવિધાઓ, જાહેર ઈમારતો તથા અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે રૂ. 368.01 કરોડના કુલ 29 કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કામો પૂર્ણ થતા શહેરના માર્ગ નેટવર્કમાં સુધારો થશે તથા નાગરિકોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ બનશે. વોટર વર્કસ પ્રોજેક્ટ વિભાગવોટર વર્કસ પ્રોજેક્ટ વિભાગ દ્વારા પાણી પુરવઠા વ્યવસ્થા મજબૂત બનાવવા રૂ. 173.17 કરોડના 7 કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રકલ્પો પૂર્ણ થતા નવા વિસ્તારોમાં પાણી પુરવઠો સુધરશે તથા હાલની વ્યવસ્થામાં ક્ષમતા વધારો થશે. ડ્રેનેજ વિભાગડ્રેનેજ વિભાગ દ્વારા રૂ. 1.96 કરોડના 3 કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કામોથી શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ સુવિધા વધુ મજબૂત બનશે અને વરસાદી પાણી તથા ગટર વ્યવસ્થામાં સુધારો થશે. રોશની વિભાગરોશની વિભાગ દ્વારા રૂ. 75 લાખના 1 કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રકલ્પથી શહેરના માર્ગો તથા જાહેર સ્થળોએ પ્રકાશ વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનશે. આમ રૂ. 543.89 કરોડના 40 વિકાસપ્રકલ્પોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. ચૂંટણી લક્ષી વ્યૂહરચના અને જાહેર સભા ઉલ્લેખનીય છે કે, રાજકીય વિશ્લેષકોના મતે વિધાનસભાનું સત્ર પૂર્ણ થયા બાદ અને વડાપ્રધાનની આગામી તા. 31 ની મુલાકાત પછી રાજ્ય ચૂંટણી પંચ ગમે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. ત્યારબાદ આચારસંહિતાને કારણે કોઈ પણ નવા કામો શરૂ કરી શકાતા નથી, તેથી રાજ્ય સરકાર વિકાસ કામોના પ્રચાર-પ્રસાર માટે આ તક ઝડપી લેવા માંગે છે. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીની એક વિશાળ જાહેર સભાનું આયોજન પણ વિચારાઈ રહ્યું છે, જે એક રીતે આગામી મહાપાલિકા ચૂંટણીના પ્રચારના શ્રીગણેશ સમાન બની રહેશે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 1:57 pm

અમરેલી ભાજપ કાર્યાલ પર બે કાર્યકરોએ રાજીનામું આપ્યું:પાર્ટીનો દાવો- બંને પહેલાથી જ સસ્પેન્ડ કરાયેલા છે; 'આપ'નો ખેસ ધારણ કરવાની અટકળો

અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાજકીય ડ્રામા સર્જાયો હતો. ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા બે કાર્યકરોએ કાર્યાલય પહોંચી રાજીનામું આપ્યાની જાહેરાત કરી હતી, જેના કારણે રાજકીય માહોલ ગરમાયો છે. અમરેલી તાલુકાના જશવંતગઢ ગામના અશોક માંગરોળીયા અને નિલેશ સાવલિયા નામના આ બંને કાર્યકરો ભાજપનો ખેસ પહેરી કાર્યાલયે પહોંચ્યા હતા. તેમણે મીડિયા સમક્ષ ભાજપ સામે ન્યાય ન મળવાના આક્ષેપો કર્યા હતા અને લેખિતમાં રાજીનામું સુપરત કર્યું હતું. આ સમગ્ર ઘટના અંગે જિલ્લા ભાજપ મહામંત્રી રાજુ ભૂતેયાએ ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ બંને કાર્યકરોને પાર્ટી દ્વારા અગાઉ જ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપને બદનામ કરવાના ઇરાદાથી તેઓએ કાર્યાલય ખાતે આવી રાજીનામું આપવાનો દેખાવ કર્યો છે. રાજુ ભૂતેયાએ વધુમાં જણાવ્યું કે અશોક માંગરોળીયાને 29/12/2024 ના રોજ પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેવી જ રીતે, નિલેશ સાવલિયાને પણ 29/12/2024 ના રોજ પ્રાથમિક સભ્ય તરીકે ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા હતા. અશોક માંગરોળીયાએ જણાવ્યું કે તેઓ છેલ્લા 25 વર્ષથી પાર્ટીમાં કામ કરી રહ્યા હતા અને અલગ અલગ સ્તરે રજૂઆતો કરી હતી, પરંતુ તેમને ન્યાય મળ્યો ન હતો. તેમણે આક્ષેપ કર્યો કે પાર્ટીમાં માત્ર એક જ વ્યક્તિનું ચાલી રહ્યું છે, જેના કારણે તેમણે રાજીનામું આપ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ખેંચતાણ શરૂ થઈ છે. એવી અટકળો ચાલી રહી છે કે આ બંને સસ્પેન્ડ કરાયેલા કાર્યકરો સાંજે 4 વાગ્યે આમ આદમી પાર્ટીના કેજરીવાલની સભામાં 'આપ'નો ખેસ ધારણ કરી શકે છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 1:55 pm

શિવરંજની BRTS બસ સ્ટેન્ડમાં આગ:પેસેન્જરોમાં દોડધામ, ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી

અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા એવા સેટેલાઈટના શિવરંજની BRTS બસ સ્ટેન્ડમાં આગ લાગવાની ઘટના બની છે. ફાયરબ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળ ઉપર રવાના કરવામાં આવી છે. બસ સ્ટેન્ડ ઉપર આગ લાગવાની ઘટના બનતા પેસેન્જરોમાં દોડધામ મચી ગઈ હતી. તમામ પેસેન્જર તાત્કાલિક બસ સ્ટેન્ડની બહાર રોડ ઉપર દોડી ગયા છે. ફાયર બ્રિગેડની ટીમ હાલ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 1:53 pm

સંતવાણી:હાથમાં કામ, મુખમાં નામ, હૃદયમાં ભગવાન રાખો: સાધુ પ્રેમવત્સલદાસજી

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ શ્રી સ્વામિનારાયણ ભગવાને આપેલા ચારિત્ર્ય ઘડતર કરનારા ઉપદેશમાં જણાવ્યું કે, જીવનમાં સુખી થવા માટે 'હાથમાં કામ, મુખમાં નામ અને હૃદયમાં ભગવાન' રાખવા જોઈએ. તેમણે સમજાવ્યું કે, વ્યવહાર ચલાવવા અને પૈસા કમાવવા માટે હાથમાં કામ રાખવું અત્યંત જરૂરી છે. આનાથી વ્યક્તિ આર્થિક રીતે સક્ષમ બને છે. કામની સાથે ભક્તિ પણ અનિવાર્ય છે. તેથી, મુખથી ભગવદ્ નામસ્મરણ કરવું જોઈએ. આ ભક્તિ ભાવનાને જીવંત રાખે છે. આ ઉપરાંત, હૃદયમાં ભગવાનને ધારવા એટલે કે તેમની સ્મૃતિ રાખવી જોઈએ. આનાથી મનને શાંતિ મળે છે અને આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ ભક્તરાજ પર્વતભાઈનું ઉદાહરણ આપ્યું. પર્વતભાઈ ખેતીનું કામ કરતા હતા, મુખેથી સ્વામિનારાયણ મંત્રનો જાપ કરતા અને હૃદયમાં ભગવાનને ધારતા હતા. તેમનું જીવન આ સંદેશનું ઉત્તમ ઉદાહરણ હતું. તેમણે ઉમેર્યું કે, સંસારમાં રહીને પણ જો આપણે ભક્તિ અને સત્સંગ કરીશું, તો સુખ અને શાંતિ પ્રાપ્ત કરી શકીશું.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 1:49 pm

દેવભૂમિ દ્વારકાના પિંડારા તીર્થમાં 29માર્ચથી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞકથા:સોમનાથ અને ભાલકાતીર્થ ખાતે કંકોતરી અર્પણ કરી દેવતાઓને આમંત્રણ અપાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પવિત્ર પિંડારા તીર્થમાં સમસ્ત અખિલ ભારતીય યદુવંશી-આહીર સમાજ દ્વારા ભવ્ય “શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ કથા”નું આયોજન આગામી તા. 29 માર્ચ 2026થી 6 એપ્રિલ 2026 દરમિયાન યોજાનાર છે. આ નવદિવસીય ચતુરંગી ધર્મમહોત્સવને લઈ સમિતિના સભ્યોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ધર્મપરંપરા મુજબ કોઈપણ શુભ કાર્ય પહેલાં દેવી-દેવતાઓને આમંત્રણ પાઠવવાની પ્રાચીન પરંપરા નિભાવી, સમિતિના યુવાનો પ્રભાસતીર્થ ખાતે આવેલા સોમનાથ મંદિર તેમજ ભાલકાતીર્થ ખાતે પધારી ભગવાન સોમનાથ મહાદેવ અને ભગવાન શ્રીકૃષ્ણને કંકોત્રી અર્પણ કરી ભાવપૂર્વક આમંત્રણ પાઠવ્યું હતું. આ ભવ્ય કથામાં પ્રખર શિવકથાકાર ગીરીબાપુ વ્યાસપીઠ પર બિરાજમાન રહી પોતાની આગવી શૈલીમાં શિવમહાપુરાણની કથા શ્રવણ કરાવશે. કથા રોજ સવારના 9:00 થી 12:00 અને બપોરે 3:00 થી 6:00 વાગ્યા સુધી યોજાશે. ધર્મમહોત્સવની શરૂઆત તા. 29 માર્ચના રોજ ધ્વજારોહણથી થશે, જેમાં દ્વારકાધીશ મંદિર અને નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ખાતે નૂતન ધ્વજ ચડાવવામાં આવશે. ત્યારબાદ મહાપ્રભુજીની બેઠકથી પિંડારા સુધી ભવ્ય પોથીયાત્રા યોજાશે. આ નવદિવસીય કથામાં વિવિધ ધાર્મિક પ્રસંગોનું પણ આયોજન કરાયું છે, જેમાં સતી પ્રાગટ્ય, શિવ-પાર્વતી વિવાહ, દ્વાદશ જ્યોતિર્લિંગ કથા, રૂદ્રાક્ષ મહાત્મ્ય અને ભસ્મ મહાત્મ્ય જેવા પાવન પ્રસંગો ઉજવાશે. તા. 30 માર્ચે સમસ્ત બ્રહ્મ ચોર્યાસીનું ભવ્ય ભોજન યોજાશે. વિશેષ આકર્ષણ તરીકે તા. 4 એપ્રિલે શિવપાર્વતી વિવાહ પ્રસંગે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 15 નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે. આ સાથે પિતૃતર્પણ (પિંડારું) વિધિ પણ પીંડારક ક્ષેત્રે તીર્થગોરો દ્વારા શાસ્ત્રોક્ત પદ્ધતિથી કરાવવામાં આવશે. આ ઉપરાંત નવકુંડિય મહાવિષ્ણુ યાગ તથા શ્રીમદ્ ભાગવત પાઠનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં ભાગવત કથાકાર ધવલભાઈ અત્રી મુખ્ય આચાર્ય તરીકે ઉપસ્થિત રહેશે. પીંડારા તીર્થનું વિશેષ મહાત્મ્ય છે. હરી અને હરનું સંગમસ્થળ માનાતા આ ક્ષેત્રે મહાભારતકાળથી ઋષિ-મુનિઓની તપોભૂમિ તરીકે ઓળખ છે. પૌરાણિક માન્યતાઓ મુજબ પાંડવોએ અહીં પિતૃતર્પણ કરીને મુક્તિ પ્રાપ્ત કરી હતી. આજે પણ સમુદ્ર મધ્યે સ્થિત અતિદુર્લભ શિવલિંગ અને મહર્ષિ દુર્વાસાનો આશ્રમ આ સ્થાનની આધ્યાત્મિક મહિમાને ઉજાગર કરે છે. આ ભવ્ય અને દિવ્ય ધર્મોત્સવમાં તમામ ધર્મપ્રેમી ભક્તોને હાજરી આપી આધ્યાત્મિક લાભ લેવા સમિતિ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવાયું છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 1:46 pm

સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા આશાસ્પદ યુવાનનું મોત:રાજકોટમાં અવધના બંગલા પાસે ક્રિકેટ રમતા બંધ સ્વિમિંગ પૂલમાં પડેલો બોલ લેવા જતા કોલેજીયને જીવ ગૂમાવ્યો, 108 એમ્બ્યુલન્સના નર્સને બદલે મિત્રે CPR આપ્યુ

રાજકોટમાં 19 વર્ષિય યુવાનનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા મૃત્યુ થતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. શહેરના ઓમનગર પાસેની જલારામ સોસાયટીમાં રહેતો અને VVP કોલેજમાં અભ્યાસ કરતો ધર્મિન મોરીધરા આજે 25 માર્ચે પરીક્ષા પૂર્ણ થયા બાદ અવધના નિર્જન બંગલા પાસે ગ્રાઉન્ડમાં મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હતો જે દરમિયાન બોલ પાછળ આવેલા બંધ સ્વિમિંગ પૂલમાં પડી ગયો હતો. જે બોલ લેવા જતા યુવાન શેવાળ જામેલા સ્વિમિંગ પૂલમાં લપસી ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. મિત્રો અને સ્થાનિક યુવાનની મદદથી ધર્મિનને સ્વિમિંગ પૂલમાંથી બહાર કાઢ્યો. મિત્રે CPR (કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન) આપ્યું પરંતુ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચે તે પહેલા જ યુવાને દમ તોડી દીધો. પિતા હિતેશભાઈએ જણાવ્યુ હતું કે, મારો 19 વર્ષીય પુત્ર ધર્મિન VVP એન્જિનિયરિંગ કોલેજમાં બી.ટેક.ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. આજે તેઓની પરીક્ષા હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ તેઓ સવારે 10:00 વાગ્યે અવધના બંગલા પાસેના મેદાનમાં ક્રિકેટ રમી રહ્યા હતા. બીજી વખત તેઓ આ મેદાનમાં ક્રિકેટ રમવા ગયા હતા. જે દરમિયાન બોલ બંગલા પાછળ આવેલા સ્વિમિંગ પૂલમાં પડી ગયો હતો. જે બોલ લેવા જતા મારો પુત્ર ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. પરિવારના આધાર સ્તંભરૂપ એક માત્ર પુત્રના અકાળે અવસાનથી પરિવાર પર આભ તૂટી પડયું હતુ. ધર્મિન હિતેષભાઇ મોરીધરા બી.ટેક.માં અભ્યાસ કરતો હતો. અવધ બંગલા પાછળ 5 જેટલા મિત્રો ક્રિકેટ રમવા ગયા હતા. જે દરમિયાન દળો પાછળ આવેલા સ્વિમિંગ પૂલમાં પડી ગયો હતો. જે દળો લેવા માટે ધર્મિન ગયો હતો. જોકે ધડામ દઈને અવાજ આવતા તમામ મિત્રો ત્યાં પહોચી ગયા હતા. જે દરમિયાન જોયું તો ધર્મિન ડૂબી રહ્યો હતો. જેથી મિત્રોએ તુરંત લાકડાનો ઘા કર્યો. જોકે તે લાકડું ન પકડી શક્યો. જ્યાં સ્થાનિક રહેવાસી યુવાને ધર્મિનને બહાર કાઢ્યો. 108 એમ્બ્યુલમમાં ફોન કર્યો હતો. જેઓને માંડ એડ્રેસ મળતા તે પહોંચી. જોકે 108 એમ્બ્યુલન્સના નર્સ હતી. નર્સે હાથમાં બે ઇન્જેક્શન આપ્યા. જેને CPR નહોતું આવડતું. જેથી મિત્રએ CPR આપ્યું. જે બાદ ધર્મિનને 108 એમ્બ્યુલન્સમાં લાવી રહ્યા હતા ત્યારે પ્રથમ ખાનગી વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવાનું કહ્યું પરંતુ 108 એમ્બ્યુલન્સના ડ્રાઈવરે કહ્યું કે ત્યાં સમય લાગશે. જેથી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવતો હતો. જોકે કે. કે. વી. હોલ પાસે એમ્બ્યુલન્સ પહોંચી ત્યાં જ ધર્મિનના શ્વાસ બંધ થઈ ગયા. જે બાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતા ધર્મિનનું મૃત્યુ થયુ હોવાનું તબીબોએ જાહેર કર્યુ હતુ. શહેરના કાલાવડ રોડ ઉપર આવેલો અવધનો બંગલો વેરાન છે. જ્યાં ખુલ્લું ગ્રાઉન્ડ આવેલું હોવાથી અનેક યુવાનો ત્યાં ક્રિકેટ રમતા હોય છે. ક્યા બંગલો અને તેની પાછળ આવેલો બંધ સ્વિમિંગ પૂલ નિર્જન સ્થળ છે. આમ છતાં પણ અહીં કોઈપણ પ્રકારનો પોલીસ બંદોબસ્ત કે બેરીકેડ મૂકવામાં આવ્યા નથી. જેને કારણે આ પ્રકારની ગંભીર ઘટના બની છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 1:45 pm

ખોખરામાં ફરી એકવાર લોહિયાળ ખેલ:પત્ની સાથે વાત કરવાની ના પાડતા બે ભાઈઓ પર છરીથી હુમલો, એક યુવક ICUમાં દાખલ

અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં એક અઠવાડિયા પહેલા જ હત્યાના પ્રયાસની ઘટના બની હતી, ત્યારે વધુ એક હત્યાના પ્રયાસની ઘટના સામે આવી છે. મહિલાની સાથે વાતચીત કરવા બાબતે ઠપકો આપવા ગયેલા બે યુવકોને છરીના ઘા મારી દેવામાં આવ્યા હતા. જેમાં એક યુવક અને ગંભીર ઇજાઓ તથા હાલ સારવાર માટે હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે ખોખરા પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. 'તુ મારી પત્ની સાથે વાત કેમ કરે છે' કહેવા જતાં બોલાચાલી થઈમળતી માહિતી મુજબ, શહેરના ખોખરા વિસ્તારમાં મોતીભાઈની ચાલીમાં અજયભાઈ ઠાકોર તેમના પરિવાર સાથે રહે છે. એક અઠવાડિયા પહેલા અજયભાઈને જાણ થઈ હતી કે, તેમની સામેની સોસાયટીમાં રહેતો અવિનાશ સોનવણે સાથે તેમની પત્ની વાતચીત કરે છે. જેથી આ બાબતે અજય અવિનાશના ઘરે ગયો હતો અને કહ્યું હતું કે તને મારી પત્ની સાથે વાત કરવાની ના પાડી છે છતાં તું કેમ વાત કરે છે. જે અંગેની બોલાચાલી થઈ હતી ત્યારબાદ તેઓ પોતાના ઘરે આવ્યો હતો. રાત્રે 7:30 વાગ્યાની આજુબાજુ અવિનાશ, તેનો ભાઈ વિશાલ અને સન્ની તેમજ તેના માસીનો દીકરો કાર્તિક અજયના ઘર પાસે આવ્યા હતા. હિતેશને જાનથી મારી નાખવાના ઇરાદે પેટના ભાગે મારી દીધીઅવિનાશ એકદમ મુશ્કેલાઈને અજયને કહ્યું હતું કે, તું વારંવાર મારા ઘરે કહેવા આવે છે તો તારી પત્નીને સમજાવો. જેથી તેઓ વચ્ચે ગાળાગાળી અને બોલાચાલી થઈ હતી. અજય ગાળો બોલવાની ના પાડતા ચારેય જણા ભેગા મળી માર મારવા લાગ્યા હતા અને વિશાલે એની પાસે રહેલી છરી કાઢીને જાનથી મારી નાખવાના ઇરાદે અજયના માથામાં મારી દીધી હતી. આ દરમિયાન અજયના કાકાનો દીકરો હિતેશ આવી ગયો હતો. વિશાલના હાથમાં રહેલી છરી સની એ લઈ અને હિતેશને જાનથી મારી નાખવાના ઇરાદે પેટના ભાગે મારી દીધી હતી. બૂમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. મારામારી થતા હિતેશ બચવા માટે રિક્ષામાં બેસી અને ભાગી છુટ્યો હતો. હિતેશને ગંભીર ઈજા થતા હાલ સારવાર માટે ICUમાં દાખલ કરાયોચારેય આરોપીઓએ ઘરની બાજુમાં પડેલા એક્ટિવામાં પણ લાકડી વડે તોડફોડ કરી હતી અને ત્યારબાદ ત્યાંથી ભાગી ગયા હતા. હિતેશને સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યારે અજયને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવા આવ્યો હતો. હિતેશને ગંભીર ઈજા થતા હાલ સારવાર માટે ICUમાં દાખલ કરવામાં આવ્યો છે, ચારેય આરોપીઓ હાલ ફરાર થઈ ગયા છે. આ મામલે ખોખરા પોલીસને જાણ થતા પોલીસ દ્વારા સમગ્ર મામલે હવે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, ખોખરા વિસ્તારમાં દિન પ્રતિદિન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી હોય તેમ જાહેરમાં છરી અને લાકડીઓ વડે માર મારી હત્યાના પ્રયાસના બનાવો વધી રહ્યા છે. ખોખરા પોલીસ વિસ્તારમાં કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 1:31 pm

સુરતની સરદાર માર્કેટમાં મજૂરોને ગાંજો વેચવાનું રેકેટ:ઓડિશાથી લાવેલો 2.97 લાખનો ગાંજો જપ્ત, કુખ્યાત ડીલર સહિત ચારની ધરપકડ; બે માર્કેટમાં જ મજૂરી કરતા'તા

સુરતના સહારા દરવાજા ખાતે આવેલી સરદાર માર્કેટ અને નજીકમાં આવેલાં ફ્રુટ માર્કેટમાં મજૂરી કરતા બે સહિત ચારની રૂ. 2.97 લાખની કિંમતના 5 કિલો, 952 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી હતી. ચાર પૈકી બે તો માર્કેટમાં જ રહેતા હતા અને ત્યાં જ મજૂરી કામ કરતા હતાં. માર્કેટમાં કામ કરતા લોકોને જ આ ગાંજો વેચવામાં આવતો હોવાનું પોલીસે જણાવ્યું હતું. મજૂરોને છૂટકમાં ગાંજો વેચવાનું રેકેટ ઝડપાયુંપૂણા પોલીસ ઈન્સ્પેક્ટર વી. એમ.દેસાઈ અને ટીમે ગતરાત્રે નવ વાગ્યાના અરસામાં બાતમીને આધારે સરદાર માર્કેટ પાસે આવેલી મહાત્મા ગાંધી ફૂટ માર્કેટમાં વોચ ગોઠવી હતી. અહીં સફા ફ્રુટ કંપનીમાં નોકરી કરતો નિટુ બાબુલાલ પ્રધાન મજૂરોને છૂટકમાં ગાંજો વેચતો હોવાનું અને તેને ગાંજો આપવા કુખ્યાત ડીલર પિન્ટુ સુખદેવ બિસોઈ (રહે. હરિઓમનગર, પાંડેસરા, મૂળ રહે. હાડીચેરીગામ, ગંજામ, ઓરિસ્સા) બાઈક પર આવવાનો છે. બંને પાસેથી 5 કિલો ગાંજો જપ્ત કરાયોપોલીસના આશ્ચર્ય વચ્ચે પિન્ટુ સાથે બાઈક પર બીજા બે શખ્સો કેશવ ડાકા ગૌડા (રહે. સફા ફૂટ કંપની, મહાત્મા ગાંધી ફૂટ માર્કેટ, મૂળ ઓરિસ્સા) અને સંતોષ પ્રફુલ્લ જૈના (રહે. પ્રમુખપાર્ક, પાંડેસરા, મૂળ ઓરિસ્સા) આવ્યા હતા. ત્રણેય પાસેથી પોલીસને 5 કિલો 952 ગ્રામ ગાંજો મળ્યો હતો. પિન્ટુએ જ આ બંનેને ગાંજો સપ્લાય કર્યો હતો અને વધેલો ગાંજો નીટુને આપવા આવ્યા હતા. બે માર્કેટમાં જ મજૂરી કરતા હતાનીટુ અને કેશવ ગૌડા માર્કેટમાં જ મજૂરી કામ કરતા હતા. માર્કેટમાં મજૂરી ઉપરાંત છૂટકમાં ગાંજો વેચતા હતા. માર્કેટનાં મજૂરો જ તેમનાં ગ્રાહક હતા. પોલીસે આ ચારેયની ધરપકડ કરવાની સાથે આ જથ્થો જ્યાંથી ખરીદવામાં આવ્યો હતો તે ઓરિસ્સાના ગંજામના આલોક ગૌડનો વોન્ટેડ જાહેર કર્યો હતો. પિન્ટુ સારોલીમાં 17 કિલો ગાંજામાં છ મહિનાથી વોન્ટેડપિન્ટુ સુરતમાં ગાંજા સપ્લાયનું મોટા પાયે કામ કરતો હતો. ગાંજો લેવા માટે તે જાતે ઓરિસ્સાના ગંજામ જતો હતો અને સુરતના ઓર્ડર પ્રમાણેનો માલ લઇ આવતો હતો. છ મહિના પહેલાં સારોલી પોલીસે 17 કિલો ગાંજો પકડ્યો હતો. તેમાં તે મુખ્ય સપ્લાયર તરીકે વોન્ટેડ હતો.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 1:15 pm

એક વર્ષ જૂની અદાવતનો ખાર:રાણીકા વિસ્તારમાં મિત્રો સાથે બેઠેલા યુવકને ધારિયું-છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી, 4 સામે ગુનો નોંધાયો

ભાવનગર શહેરના રાણીકા વિસ્તારમાં એક વર્ષ પહેલા થયેલી મારામારીની દાઝ રાખી ગતરાત્રે યુવક તેના મિત્રો સાથે બેઠો હતો તે વેળાએ મોટરસાઇકલ પર ધારિયું અને છરી જેવા ઘાતક હથિયારો સાથે આવેલા ચાર શખ્સોએ ગાળો બોલી તમને જીવતા નહીં રહેવા દઈએ એવુ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે ફરિયાદ દાખલ થતા ગંગાજળિયા પોલીસે 4 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાથમાં હથિયારો લઈ જાનથી મારી નાખવાની ધમકી આપીઆ બનાવ અંગે ગંગાજળિયા પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર, શહેરના રાણીકા વિસ્તારમાં આવેલ આરબવાડમાં રહેતા અબદલ્લા અમરભાઈ બાજુબેર/આરબે ફરિયાદ નોંધાવી હતી કે, ગતરાત્રે તેઓ રાણીકા લીમડીવાળી સડક પર વખારના ચોક ખાતે પોતાના મિત્રો સાથે બેઠા હતા અને વાતો કરી રહ્યા હતા, ત્યારે આશરે એક વાગ્યાના સુમારે જર્મન તથા વિજય ઉર્ફે વિજયો કાળીયો પોતાના મિત્ર કુમાર સાથે ત્યાં આવી પહોંચ્યો હતો. પોલીસે 4 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અગાઉ લગભગ એક વર્ષ પહેલા થયેલી મારામારીની દાઝ રાખી મોટરસાઇકલ પર આવી હાથમાં ધારિયું અને છરી જેવા હથિયારો સાથે ગાળો આપી ધમકી આપી હતી કે “તમને બહુ હવા આવી ગઈ છે, અમે તમારી હવા કાઢી નાખીશું અને જો તમે તમારા લતા બહાર ક્યાંય ભેગા થશો તો તમને જીવતા નહીં રહેવા દઈએ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જે ફરિયાદના આધારે ગંગાજળિયા પોલીસે જર્મન, વિજય ઉર્ફે વિજયો કાળીયો, અમન ઉર્ફે બગ્ગો તથા એક અજાણ્યા ઇસમ સામે BNS કલમ 352, 351(3), 54 તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 1:09 pm

વલસાડમાં રામ નવમીએ શોભાયાત્રા નીકળશે:અયોધ્યા જેવી રામલલાની નવી મૂર્તિના દર્શન, માર્ગો શણગારાશે

વલસાડ શહેરમાં રામ નવમી પર્વની ઉજવણી માટે તૈયારીઓ તેજ બની છે. 'રામ જન્મોત્સવ આયોજન સમિતિ' દ્વારા વલસાડ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી કાર્યક્રમની વિગતવાર માહિતી અપાઈ હતી. આ વર્ષે શોભાયાત્રામાં અયોધ્યાના રામ મંદિર જેવી જ 'રામલલા'ની નવી મૂર્તિ મુખ્ય આકર્ષણ રહેશે. આયોજન સમિતિના સભ્ય હિતેશ પટેલે જણાવ્યું કે, ભગવાન રામની નવી મૂર્તિ લાવવામાં આવી છે. તેનું અનાવરણ રામ નવમીના દિવસે બપોરે 12 કલાકે કરવામાં આવશે. સ્નેહલ દેસાઈએ માહિતી આપતા જણાવ્યું કે, શોભાયાત્રાનો પ્રારંભ રેલવે ગોદીથી થશે. તે નવરંગ લસ્સી સર્કલ, બેચર રોડ, છીપવાડ, તરિયાવાડ, એમ.જી. રોડ અને ટાવર થઈ દાદિયા ફળિયા ખાતે પૂર્ણ થશે. શોભાયાત્રામાં રામ-લક્ષ્મણ-જાનકી અને કૃષ્ણ ભગવાનની વિવિધ જીવંત ઝાંખીઓ જોવા મળશે. સમગ્ર શોભાયાત્રા દરમિયાન સતત સુંદરકાંડના પાઠ ચાલશે. રૂટના અંતે તમામ ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સમિતિના જણાવ્યા અનુસાર, વલસાડના મુખ્ય માર્ગોને શણગારવામાં આવી રહ્યા છે. શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી અપેક્ષા છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 1:01 pm

ગાંધીનગરના 7 ગામોમાં 'દીવા તળે અંધારું':63 વર્ષથી પાયાની સુવિધાઓ માટે ગ્રામજનોના ધરણા; આવાસ અને માલિકી હકની ઉગ્ર માગ

ગાંધીનગરના નિર્માણને દાયકાઓ વીતી ગયા હોવા છતાં શહેરની હદમાં ભેળવી દેવાયેલા સાત ગામોના પ્રશ્નો આજે પણ ઠેરના ઠેર જોવા મળી રહ્યા છે. ઈન્દ્રોડા, બોરીજ, ધોળાકુવા, આદિવાડા, ફતેપુરા, પાલજ અને બાસણ ગામના હજારો પરિવારો છેલ્લા 63 વર્ષથી પાયાની સુવિધાઓ અને કાયદેસરના રહેઠાણ માટે સંઘર્ષ કરી રહ્યા છે. આજે વધુ એક વખત અસરગ્રસ્ત ગ્રામજનોએ ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન યોજી પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા સરકાર સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે. સરકારમાં પોતાની પડતર માંગણીઓ અંગે ઉગ્ર રજૂઆતગાંધીનગર આજે વિશ્વસ્તરે આધુનિક શહેર તરીકે ઓળખાય છે, પરંતુ આ જ શહેરના સાત જૂના ગામોની સ્થિતિ દીવા તળે અંધારું જેવી ભાસી રહી છે. ઈન્દ્રોડા, બોરીજ, ધોળાકુવા, આદિવાડા, ફતેપુરા, પાલજ અને બાસણ જેવા ગામોના રહેવાસીઓ છેલ્લા છ દાયકાથી પણ વધુ સમયથી વહીવટી તંત્રની ઉપેક્ષાનો ભોગ બની રહ્યા છે. આજે આ સાત ગામના આગેવાનો અને ગ્રામજનો દ્વારા સરકારમાં પોતાની પડતર માંગણીઓ અંગે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે, જેમાં વહીવટી તંત્રની ઉદાસીનતા સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. વસ્તી વધારો અને પરિવારોના વિસ્તરણને કારણે રહેઠાણની ગંભીર સમસ્યાઆ પ્રશ્નનો ઈતિહાસ ગાંધીનગર શહેરની સ્થાપના જેટલો જ જૂનો છે. જ્યારે આ ગામોનો સમાવેશ શહેરના વિસ્તારમાં કરવામાં આવ્યો ત્યારે ગ્રામજનોને આશા હતી કે તેમને આધુનિક સુવિધાઓ મળશે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ રહી છે. વધતી જતી વસ્તી અને પરિવારોના વિસ્તરણને કારણે રહેઠાણની ગંભીર સમસ્યા ઉભી થઈ છે. એક જ નાના મકાનમાં બે-ત્રણ પરિવારો સાથે રહેવા મજબૂર ગ્રામજનો દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ, દાયકાઓથી રહેઠાણની સમસ્યા અંગે કોઈ મક્કમ નીતિ ઘડવામાં આવી નથી. વધતી જતી વસ્તીને કારણે પરિવારો મોટા થયા છે, પરંતુ રહેવા માટે જગ્યા નથી. મજબૂરીવશ ગ્રામજનોએ ગામની આસપાસની જમીનો પર કાચા-પાકા મકાનો બાંધીને આશરો લીધો છે. હવે આ પરિવારોની માગ છે કે, સરકારે આ મકાનોનો ભોગવટો કાયદેસર કરી આપવો જોઈએ. અનેક કિસ્સાઓમાં એક જ નાના મકાનમાં બે-ત્રણ પરિવારો સાથે રહેવા મજબૂર છે, જેમના માટે સરકારે રાહતદરે પ્લોટ અથવા આવાસ યોજનાની ફાળવણી કરવી અનિવાર્ય બની ગઈ છે. સરકાર આંખ આડા કાન કરી રહી હોવાનો ગ્રામજનોમાં રોષવધુમાં અસરગ્રસ્તોનું કહેવું છે કે, વર્ષો પહેલા જે ખેડૂતોની જમીનો શહેરના વિકાસ માટે સંપાદિત કરવામાં આવી હતી, તેમને રોજગારીના હેતુથી ગાંધીનગર શહેરમાં ભાડા પદ્ધતિથી 'ચિપ ટાઈપ'ની દુકાનો ફાળવવામાં આવી હતી. આ દુકાનોના માલિકી હક માટે ખેડૂતો લાંબા સમયથી લડત ચલાવી રહ્યા છે, પરંતુ હજુ સુધી તેમને કાયદેસરના માલિક બનાવવામાં આવ્યા નથી. માલિકી હક મળવાથી આ પરિવારો આર્થિક રીતે પગભર થઈ શકે તેમ છે. જેની તરફ સરકાર આંખ આડા કાન કરી રહી હોવાનો રોષ જોવા મળી રહ્યો છે. સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર લડતનું રણશિંગુ ફૂંકાશેગાંધીનગર શહેરના સેક્ટરોમાં બગીચા, લાયબ્રેરી અને રમતગમતના મેદાનોની ભરમાર છે, જ્યારે આ ગામોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બાળમંદિર કે સામાજિક પ્રસંગો માટે લગ્નવાડી જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ ઘોર અભાવ છે. ગ્રામજનોનું કહેવું છે કે, જો તેઓ શહેરનો હિસ્સો છે, તો તેમને શહેર જેવી સુવિધાઓ કેમ મળતી નથી. જો સરકાર આ પાયાના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ નહીં લાવે તો આગામી સમયમાં ઉગ્ર લડતનું રણશિંગુ ફૂંકવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 12:56 pm

ગેસ સિલન્ડરની અછત વચ્ચે શ્રમિકોની હિજરત રોકવા કવાયત:માઈગ્રન્ટ શ્રમિકોને રેશનકાર્ડ વગર ગેસ સિલન્ડર આપવા કલેકટર સમક્ષ ચેમ્બરની માગ

સુરતના ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સુરતના જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીને એક મહત્વપૂર્ણ પત્ર પાઠવવામાં આવ્યો છે. આ રજૂઆતમાં શહેરમાં વસતા લાખો શ્રમિકોને ઘરગથ્થુ એલપીજી ગેસ મેળવવામાં પડતી હાલાકીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. ચેમ્બરે માંગ કરી છે કે મજૂરો માટે રેશનકાર્ડની અનિવાર્યતા દૂર કરી આધાર કાર્ડ આધારિત વ્યવસ્થા ગોઠવવામાં આવે. 60 થી 80 ટકા મજૂરો પાસે સ્થાનિક રેશનકાર્ડ નથીચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસીએ રજૂઆત દરમિયાન જણાવ્યું હતું કે, સુરતના ટેક્ષ્ટાઇલ, ડાયમંડ અને અન્ય ઉદ્યોગોમાં કામ કરતા કુલ મજૂરોમાંથી અંદાજે 60 થી 80 ટકા શ્રમિકો અન્ય રાજ્યો કે જિલ્લાઓમાંથી આવેલા છે. આ માઇગ્રન્ટ મજૂરો પાસે સુરતનું સ્થાનિક રેશનકાર્ડ ન હોવાથી તેઓને કાયદેસરનું ગેસ કનેક્શન મેળવવામાં મોટી મુશ્કેલી પડી રહી છે. રિવર્સ માઇગ્રેશનનો વધતો ભયવર્તમાન સમયમાં ગેસ સિલિન્ડરની અછત અને મેળવવામાં પડતી અડચણોને કારણે શ્રમિક વર્ગમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. જો મજૂરોને પાયાની સુવિધાઓ નહીં મળે, તો તેઓ પોતાના વતન તરફ પાછા ફરી શકે છે. આ 'રિવર્સ માઇગ્રેશન' સુરતના મુખ્ય ઉદ્યોગો માટે ગંભીર આર્થિક કટોકટી સર્જી શકે છે તેવી ભીતિ પણ ચેમ્બરે વ્યક્ત કરી છે. આધાર કાર્ડને ઓળખનો મુખ્ય આધાર બનાવવા માંગચેમ્બરે સૂચન કર્યું છે કે આધાર કાર્ડ એ આજે દેશભરમાં સર્વત્ર સ્વીકાર્ય ઓળખ પુરાવો છે. જો રેશનકાર્ડના સ્થાને માત્ર આધારકાર્ડના આધારે એલપીજી સિલિન્ડર ફાળવવાની છૂટ આપવામાં આવે, તો લાખો શ્રમિકોને મોટી રાહત મળી શકે છે. આ પ્રક્રિયાથી મજૂરોને સરળતાથી ગેસ સુવિધા ઉપલબ્ધ થશે અને કાળાબજાર પર પણ લગામ લાગશે. ઉદ્યોગોના અસ્તિત્વ માટે શ્રમિકોની સુવિધા જરૂરીસુરતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર શ્રમિકો છે. ચેમ્બર પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે કલેકટરને જણાવ્યું છે કે જો શ્રમિકોને રાંધણ ગેસ જેવી પાયાની જરૂરિયાત પૂરી કરવામાં વહીવટી તંત્ર નિષ્ફળ જશે, તો તેની સીધી અસર ઉત્પાદન અને ઉદ્યોગોના વિકાસ પર પડશે. આથી, શ્રમિકોના હિતમાં નિયમોમાં લવચીકતા લાવવી અનિવાર્ય છે. વહીવટી તંત્ર પાસે તાત્કાલિક પગલાની અપેક્ષાજિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીને પાઠવેલા પત્રમાં ચેમ્બરે માંગ કરી છે કે આ મુદ્દે ગેસ એજન્સીઓ અને સંબંધિત વિભાગો સાથે સંકલન સાધીને તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે. મજૂર વર્ગને પડતી હાલાકી દૂર કરવા માટે તંત્ર દ્વારા લેવાયેલા હકારાત્મક પગલાં શહેરના ઔદ્યોગિક સ્વાસ્થ્ય માટે મહત્વના સાબિત થશે. શ્રમિકોને પાયાની સુવિધા મળે તે પ્રથમ પ્રાથમિકતાઅંતમાં, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ભાર મૂકવામાં આવ્યો છે કે સુરત આવતા દરેક શ્રમિકને સન્માનજનક જીવન અને જરૂરી સુવિધાઓ મળે તે જોવાની જવાબદારી તંત્રની છે. આધાર કાર્ડ આધારિત ગેસ વિતરણ વ્યવસ્થા એ આ દિશામાં એક મોટું અને પ્રગતિશીલ કદમ સાબિત થઈ શકે છે, જેનાથી શહેરમાં કામ કરતા માઇગ્રન્ટ વર્ગનો વિશ્વાસ વધશે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 12:49 pm