સવારનો સમય છે, તમે શાંતિથી ચા પી રહ્યા છો અને અચાનક તમારા વીડિયો કોલ આવે છે. સ્ક્રીન પર દેખાય છે મુંબઈ ક્રાઇમબ્રાંચ કે CBIની ઓફિસ, પાછળ ભારત સરકારનો લોગો છે અને ખાખી વર્દીમાં બેસેલો ઓફિસર કહે કે તમારા નામે MD ડ્રગ્સનું પાર્સલ પકડાયું છે. તમે ડિજિટલ એરેસ્ટ છો. કેમેરો બંધ ન કરતા, નહીંતર પોલીસ ઘરે આવશે. આ રીતે ડરાવી સુરત સહિત દેશભરમાં લાખો વૃદ્ધો પાસેથી કંબોડિયામાં બેઠેલી ચાઇનીઝ ગેંગે કરોડો પડાવ્યા છે. કંબોડિયામાં આ ગેંગની ટ્રાન્સલેટર મૂળ હૈદરાબાદની યુવતીને સુરત સાઈબર ક્રાઈમે પકડી તો આ આંતરરાષ્ટ્રીય રેકેટ ખુલ્યું હતું. કંબોડિયામાં ભવ્યો ઓફિસોમાં ભારતની CBI-ઇડીની કચેરી, સુપ્રીમ કોર્ટ, મુંબઈ ક્રાઇમબ્રાંચના ફિલ્મી સેટ બનાવાયા છે. બેકગ્રાઉન્ડમાં નકલી જજ-વકીલો. પોલીસ કચેરીમાં નકલી અધિકારી તો CBI/EDમાં ફાઇલના ઢગલા છે. આથી વૃદ્ધો વર્દીમાં અધિકારીઓને જોઈ ડરી જાય છે અને રૂપિયા આપવા તૈયાર થઈ જાય છે. આબરું જવાનો ડર બતાવી લૂંટએકલા રહેતા વડીલોને કાયદાનો ડર બતાવી કલાકો સુધી વીડિયો કોલ પર ‘કેદ’ કરાય છે. પછી ફિલ્મીઢબે ધમકી અપાય છે કે તમારી આબરું એક મિનિટમાં ધૂળમાં મળી જશે., બચવું હોય તો રૂપિયા ટ્રાન્સફર કરો. કોઈને પણ કહ્યું તો જેલમાં જશો. 1 વર્ષમાં 4 વડીલોને ઉગારાયાશહેરમાં 2024-2025માં નોંધાયેલા તમામ 15 ગુના ઉકેલ્યા છે, જેમાં પોલીસે 50ને સળિયા પાછળ ધકેલ્યા છે. છેલ્લા 1 વર્ષમાં 4 લોકોને ડિજિટલ અરેસ્ટથી બચાવ્યા છે, જેમાં 3 વૃદ્ધો છે. તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરતા 2 કરોડ બચ્યા છે.
સુરત પોલીસે હવે એવા લોકોની શોધખોળ શરૂ કરી છે જેઓ વર્ષોથી લાપતા છે અને જેમના કેસ ફાઈલોમાં દબાઈ ગયા હતા. પોલીસના આ પ્રયાસથી છેલ્લા ચાર મહિનામાં 591 ગુમ થયેલા લોકોને શોધી કાઢી તેમના પરિવાર સાથે મિલાપ કરાવવામાં આવ્યો છે. જેમાં વૃદ્ધોથી લઈને બાળકોનો પણ સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે આમાં એવા લોકો પણ સામેલ છે જેઓ 15-20 વર્ષથી લાપતા હતા. પોલીસે વર્ષ 2007થી ગુમ થયેલા લોકોના પડતર કેસોના રેકોર્ડ, રજિસ્ટર અને દસ્તાવેજોની સમીક્ષા કરી હતી. સાથે જ ફરિયાદીઓ અને સાક્ષીઓનો ફરી સંપર્ક કરી નવા છેડેથી તપાસ શરૂ કરી, ત્યારે જઈને આ લોકો મળી આવ્યા છે. દર મહિને વધી રિકવરી નોંધ: ડિસેમ્બરમાં શોધાયેલા લોકોમાં 41 બાળકો, 53 પુખ્ત વયનાનો સમાવેશ છે. ‘ઓપરેશન મુસ્કાન’માંથી પ્રેરણા લઈને ‘મિશન મિલાપ’ શરૂ કરાયુંડીજીપીએ ઓપરેશન મુસ્કાનની શરૂઆત કરી હતી, જેના પરથી પ્રેરણા લઈ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ‘મિશન મિલાપ’ શરૂ કર્યું હતું. તેમણે 2007થી ગુમ થયેલા 4500 લોકોનો ડેટાબેઝ બનાવી જૂના રેકોર્ડ ફરીથી તપાસ્યા હતા. ટેકનોલોજીથી લોકેશન ટ્રેસ કરાયાંપોલીસ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સનો સતત ઉપયોગ કરે છે. પેમેન્ટ ગેટવે, સોશિયલ મીડિયા અને આધાર ડેટાથી પણ લોકેશન ટ્રેસ કરાયાં છે. - કરણરાજ વાઘેલા, એડિ. સીપી લોકેશન ટ્રેસ કરીને શોધખોળપોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા અલગ-અલગ રાજ્યોમાં ટીમો મોકલીને ગુમ થયેલા લોકોની શોધ કરી. ઘણા કિસ્સાઓમાં સ્થાનિક પોલીસ, સરપંચ અને ગામના પ્રતિનિધિઓના સંપર્ક દ્વારા લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું.
માનવતા મહેકાઈ:સુરત: રસ્તામાં હાર્ટ અટેક આવતા બે યુવકો મદદ માટે આવ્યા અને સીપીઆર આપી જીવ બચાવ્યો
સુરતમાં માનવતાની એક જીવંત મિસાલ સામે આવી છે, જ્યાં અજાણ્યા યુવકોએ રસ્તા પર પોતાની બાઈક મૂકી એક અજાણ્યા વ્યક્તિનો જીવ બચાવવા માટે કારમાં જ મોઢાથી સીપીઆર આપવાનું શરૂ કર્યું હતું. ઉમરા બ્રિજ પર બનેલી આ ઘટનામાં હાર્ટ એટેક આવેલા પંકજ પરમારનું લગભગ 20 મિનિટ સુધી હ્રદય ધબકતું બંધ થઈ ગયું હતું, અને દરેક ક્ષણ જીવન અને મૃત્યુ વચ્ચેની જંગ બની ગઈ હતી. એક તરફ મિત્ર અમિત પટેલ ટ્રાફિક વચ્ચે સતત હોર્ન મારતા ઝડપથી કાર હોસ્પિટલ તરફ દોડાવી રહ્યા હતા, તો બીજી તરફ રસ્તામાં મળેલા યુવકો કારમાં જ સતત સીપીઆર આપીને જીવ બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં જોડાયેલા ડોક્ટર અને હોસ્પિટલમાં તૈયાર રહેલી ટીમ આ બધાના સંયુક્ત પ્રયાસોથી અંતે પંકજ પરમારને નવજીવન મળ્યું હતું. અમિત પટેલે જણાવ્યું કે તેઓ એક કાર્યક્રમમાં હતા ત્યારે પંકજ પરમારની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી. તેઓ તરત જ પંકજને પોતાની કારમાં હોસ્પિટલ લઈ જવા નીકળી ગયા અને માર્ગમાં ડો. સંજય શાહને ફોન કરીને મદદ માટે બોલાવ્યા. પરંતુ ઉમરા બ્રિજ પાસે પહોંચતા પંકજ બેહોશ થઈ ગયા અને પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ. આ સમયે અમિત પટેલ ગભરાયા છતાં હિંમત રાખીને સતત હોર્ન મારતા કાર ઝડપથી દોડાવતા રહ્યા. એ દરમિયાન ઉત્સવ મૈસુરિયા અને તેમના મિત્ર દેવ ટિકિટવાલા કાર પાસે પહોંચ્યા. પરિસ્થિતિ સમજતા જ તેઓ પોતાની બાઈક રસ્તા પર મૂકી કારમાં બેસી ગયા અને તરત જ પંકજને સીપીઆર આપવાનું શરૂ કર્યું. થોડી જ વા રમાં ડો. સંજય શાહ પણ કારમાં જોડાયા અને તેમણે છાતી પરથી સીપીઆર આપવાનું શરૂ કર્યું, જ્યારે ઉત્સવ અને તેમના મિત્ર મોઢાથી સીપીઆર આપી રહ્યા હતા. હોસ્પિટલ પહોંચતા પહેલા જ ડો. ગુંજનને જાણ કરી દેતાં હોસ્પિટલમાં ટીમ તૈયાર હતી.લગભગ 20 મિનિટ સુધી પંકજ પરમારનું હ્રદય બંધ રહ્યું હતું, છતાં રસ્તામાં મળેલા યુવકોની તાત્કાલિક મદદ, ડોક્ટરની સારવાર અને સમયસર હોસ્પિટલ પહોંચવાના કારણે તેમનો જીવ બચાવી શકાયો.આ સમગ્ર ઘટનાએ ફરી સાબિત કર્યું છે કે આજે પણ માનવતા જીવંત છે અને મુશ્કેલીના સમયે અજાણ્યો માણસ પણ સૌથી મોટો સહારો બની શકે છે. કાર સતત હોર્ન મારી રહી હતી તેથી અમે પાસે ગયા‘હું મારા મિત્ર દેવ ટિકિટવાલા અને નિલેશ જયસ્વાલ સાથે બાઈક પર જઈ રહ્યો હતો. પાલ ઉમરા બ્રિજ પાસે એક કાર ચાલક સતત હોર્ન મારી રહ્યા હતા. મને કંઈક અજીબ લાગ્યું એટલે અમે કાર પાસે જઈને જોયું તો અંદર એક વ્યક્તિ બેહોશ હાલતમાં હતા અને તેમના મિત્રો તેમને ઉઠાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરિસ્થિતિ ગંભીર હોવાનું સમજતા અમે તરત જ તેમને સીપીઆર આપવાનું શરૂ કર્યું. ત્યારબાદ તેમની તબિયત વધુ ખરાબ લાગતા અમે બાઈક રોડ પર જ મૂકી કારમાં બેસી ગયા અને હોસ્પિટલ પહોંચીએ ત્યાં સુધી તેમને મોઢાથી સીપીઆર આપતા રહ્યા. રસ્તામાં એક ડોક્ટર પણ કારમાં જોડાયા. અમે પંકજભાઈને ઓળખતા પણ નહોતા, પરંતુ તે સમયે એક જ વિચાર આવ્યો કે એક માણસનો જીવ બચાવવો સૌથી મોટું કામ છે. ભગવાને અમને એક માણસને બચાવવાનું કામ આપ્યું એવું મને લાગે છે.’> ઉત્સવ મૈસુરિયા
વટવા-સાબરમતી વચ્ચે અમદાવાદ શહેરને બાયપાસ કરતી ચોથી રેલવે લાઇનનું કામ બે તબક્કામાં શરૂ કરાયું છે. લગભગ 1275 કરોડના ખર્ચે તૈયાર થનારી આ 59 કિમીની નવી લાઇનથી ટ્રેનોના રૂટમાં 12 કિમીનો ઘટાડો થતા મુસાફરોનો એક કલાક જેટલો સમય બચશે. વડોદરા તરફથી આવી સૌરાષ્ટ્ર જતી ટ્રેનોને અમદાવાદ લાવવી પડે છે. સ્ટેશન પર આવતી ટ્રેનોને ઘણીવાર આઉટર પર 15થી 20 મિનિટ વેઇટિંગમાં ઊભી રાખવી પડે છે. નવી લાઇન શરૂ થતા ટ્રેનો ગેરતપુરથી સીધી સાણંદ નીકળી જશે, જેથી કાલુપુરમાં ભારણ ઘટશે. નવી લાઇનથી ટ્રેનના રૂટમાં 12 કિમીનો ઘટાડોપેસેન્જરોની ભીડ અને ટ્રેનોના ટ્રાફિકને કારણે કાલુપુર સ્ટેશન પર પ્લેટફોર્મ ક્લિયરન્સ મેળવવામાં ટ્રેનોને આઉટર પર લાંબો સમય ઊભી રાખવી પડે છે. નવી બાયપાસ લાઇન શરૂ થતા ટ્રેનોને કાલુપુર લાવ્યા વગર સીધી જ પસાર કરી દેવાશે, જેના પરિણામે ટ્રેનોના રૂટમાં 12 કિમીના અંતરનો ઘટાડો થશે. આ ફેરફારથી સ્ટેશન પરના ટ્રાફિક વેઇટિંગ અને વધારાના કિલોમીટર ઘટતા મુસાફરી સમયમાં 45થી 60 મિનિટની સીધી બચત થશે. મુસાફરો સાબરમતી કે સરખેજથી ટ્રેન પકડી શકશે 59 કિમીની બાયપાસ લાઇનનું કામ બે તબક્કામાં થશે
લ્યો બોલો!:ચૂંટણી આચારસંહિતા લાગુ થઈ તે જ દિવસે મનપાએ 15 ટેન્ડર વેબસાઈટ પર ચડાવ્યા!
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. હાલ આચારસંહિતા હોવાથી મનપા કોઇ કાર્યક્રમો ન કરી શકે તેમજ ટેન્ડર પણ બહાર પાડી ન શકે. જોકે મનપામાં બધાને અણસાર તો હતો જ કે ગમે ત્યારે ચૂંટણી જાહેર થઈ શકે તેમ છે. જેને લઈને મનપાએ ટેન્ડર તૈયાર કરીને જ રાખ્યા હતા અને ચૂંટણી જાહેર થવાની જ રાહ જોવાતી હતી. ચૂંટણી જાહેર કરવા માટે ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ બોલાવી ત્યાં તુરંત જ મનપાએ ધડાધડ વેબસાઈટ પર ટેન્ડર ચડાવવાના ચાલુ કરી દીધા હતા અને કલાકોમાં જ નવા 15 ટેન્ડર પ્રસિદ્ધ થઈ ગયા હતા. આ 15 ટેન્ડરમાં આવાસ યોજનાના ટેન્ડર છે જે અગાઉથી જ નક્કી હતા. આ સિવાય અલગ અલગ વિસ્તારો ખાસ કરીને માધાપરમાં કાચા રોડ પર મેટલિંગકામ કરવાના ટેન્ડર, વિવિધ રોડ પર પેવર બ્લોકના કામનું ટેન્ડર, ટોઈલેટ બ્લોક બનાવવાનું કામ, સિમેન્ટ રોડ બનાવવાના કામ, બાયો મેડિકલ વેસ્ટ અંગેનું ટેન્ડર સહિતની બાબતોનો સમાવેશ થાય છે. આ તમામ ટેન્ડરની છેલ્લી તારીખ 20 તારીખની આસપાસ છે એટલે કે મતદાન પહેલાં જ ટેન્ડરની તારીખ પૂરી થાય છે. ત્યારબાદના 10 દિવસ સુધીમાં અધિકારીઓ મોટાભાગની કામગીરી પૂરી કરી લેશે. નવી બોડી આવતા વેંત જ કરશે નવા ટેન્ડરનો ‘વહીવટ’ટેન્ડર બાદ કામ શરૂ કરવાની વહીવટી મંજૂરી સ્ટેન્ડિંગ કમિટીમાં મળે છે. ત્યારબાદ જ એજન્સી કામ ચાલુ કરી શકે છે. હાલ અધિકારીઓએ ટેન્ડરની લાઈન કરી દીધી છે અને નવી બોડી આવશે એટલે તેનું લિસ્ટ તૈયાર થઈ જશે અને ત્યારબાદ દરખાસ્ત બનશે. સ્ટેન્ડિંગ કમિટીની રચના થશે એટલે તુરંત જ આ દરખાસ્તોને લઈને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે અને મંજૂરી અપાશે. આ વહીવટ થઈ ગયા બાદ હવે નવા કામ શરૂ કરી શકાશે.
કથિત પત્રકાર ભાવેશ વણવીના હત્યા કેસમાં બનાવના 20મા દિવસે પોલીસે જેમાં યુવાનનું અપહરણ કરાયું હતું તે કાર રવિવારે સાંજે શીતલ પાર્ક પાસે ખાનગી પ્લોટની બહાર આવેલી અવાવરું જગ્યામાંથી જપ્ત કરી હતી. આરોપી હમીર જોગરાણાએ કારની સાફ સફાઈ કરી તેને ઢાંકીને રાખી દીધી હતી. પોલીસને કારમાં લોહીના ડાઘ હોવાની શંકા જણાતા FSLની ટીમની મદદથી વધુ તપાસ હાથ ધરાઈ છે. ઉપરાંત, આરોપીએ કારની નંબર પ્લેટ કાઢી સગેવગે કરી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે પ્લોટની આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કાર્યવાહી શરૂ કરી છે. આ બનાવમાં પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટના રૈયાધાર વિસ્તારમાં 20 દિવસ પૂર્વે બનેલા ભાવેશ વણવી હત્યા કેસમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધાર હમીર મેરાભાઈ જોગરાણા તેમજ દેવકરણ સિંધા મીરને કસ્ટડીમાં લઇ આગવી ઢબે પૂછપરછ શરૂ કરી છે. રિમાન્ડ દરમિયાન આરોપી હમીરે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કાર ક્યાં છુપાવી રાખી હતી તે અંગે મહત્ત્વપૂર્ણ કબૂલાત કરી હતી. કબૂલાત મુજબ, બનાવ બાદ આરોપીએ સ્વિફ્ટ કારને શીતલ પાર્ક નજીક આવેલી એક 12 માળની ઇમારત પાસે આવેલા ખુલ્લા પ્લોટની બહાર અવાવરું જગ્યાએ સંતાડી મૂકી હતી. કારને લોકોની નજરે ન પડે તે માટે બ્લૂ કલરના કવરથી ઢાંકી દેવામાં આવી હતી અને બસની વચ્ચે રાખવામાં આવી હતી. પોલીસે FSLની ટીમ સાથે સ્થળ પર પહોંચી તપાસ કરતા કાર શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં કારમાં લોહીના ડાઘ હોવાની શક્યતા વ્યક્ત થતા વૈજ્ઞાનિક તપાસ માટે નમૂનાઓ લેવામાં આવ્યા હતા. હત્યા પહેલા ભાવેશ વણવીને માર મારી કારમાં બેસાડી અપહરણ કરવામાં આવ્યો હતો, જેના આધારે કાર મહત્ત્વપૂર્ણ પુરાવો બની શકે છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, આરોપીએ કારને સંપૂર્ણ રીતે ધોઈ સાફ કરી દીધી હતી અને નંબર પ્લેટ કાઢી અલગ મૂકી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં, પોલીસ ટેક્નિકલ અને વૈજ્ઞાનિક સાધનોની મદદથી પુરાવા એકત્રિત કરવા પ્રયત્નશીલ છે. હાલમાં આરોપીને આગામી 7 તારીખ સુધી રિમાન્ડ પર રાખવામાં આવ્યો છે. 20 દિવસ સુધી કાર ખુલી જગ્યાએ પડી રહી છતાં તે પોલીસના ધ્યાનમાં ન આવી?15 માર્ચે બનેલા હત્યા કેસમાં મુખ્ય આરોપી 3 એપ્રિલે પકડાયો, પરંતુ આ દરમિયાન ગુનામાં વપરાયેલી કાર શહેરમાં જ અવાવરું જગ્યાએ ઢાંકીને રાખવામાં આવી હતી. 20 દિવસ સુધી કાર પોલીસના ધ્યાનમાં કેમ આવી નહીં તે મુદ્દે સવાલો ઊભા થયા છે. આરોપી શહેરમાં જ હતો કે નહીં તેમજ કાર ક્યારે મુકાઈ તે અસ્પષ્ટ છે. પોલીસે હવે સીસીટીવી તપાસ શરૂ કરી છે, પરંતુ મોડું પગલું ગણાઈ રહ્યું છે. દરમિયાન આરોપીએ કાર ધોઈ અને નંબર પ્લેટ દૂર કરી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, જેના કારણે તપાસની ગતિ પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.
રાજકોટ શહેર નજીક ફળઝાડના હેતુ માટે કિંમતી સરકારી જમીન મેળવી લીધા બાદ સરકારના જમીન ફાળવણીના નિયમ મુજબ આવી જમીનમાં વૃક્ષનું વાવેતર કરવામાં આવતું ન હોવાથી તાજા ભૂતકાળમાં ત્રણેક આસામીઓ સામે શરતભંગના પગલાં લઇ આસિસ્ટન્ટ કલેક્ટરે જમીન ખાલસા કરવા હુકમ કર્યો હતો. જે પૈકી રાજકોટ તાલુકાના ફાળદંગ ગામે ફળઝાડના હેતુ માટેની જમીનમાં પૂરતા પ્રમાણમાં નિયમ મુજબ વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું ન હોવાથી શ્રીસરકાર થયેલી જમીન બચાવવા અપીલ કરનાર આસામીની અપીલ જિલ્લા કલેક્ટરે ફગાવી દઈ મદદનીશ કલેક્ટરનો હુકમ યથાવત્ રાખ્યો હતો. આ કેસમાં ફળઝાડના હેતુ માટે જમીન મેળવનાર આસામીએ છ એકર જમીન બચાવવા વૃક્ષ ન ઉછેરવા માટે ક્લાઇમેટ ચેન્જનું બહાનું આગળ ધર્યું હતું, પરંતુ કલેક્ટરે આ બહાનાને ફગાવી દીધું હતું. રાજકોટ તાલુકાના ફાળદંગ ગામના રેવન્યુ સરવે નંબર 253 પૈકી 1ની 6 એકર જમીન વર્ષ 1970માં નાયબ કલેક્ટર રાજકોટ દ્વારા 30 વર્ષ માટે ફળઝાડ ઉછેરના હેતુ માટે લાભચંદ દેવચંદ કોટકને નવી અને અવિભાજ્ય શરતે ફાળવી હતી.જેમાં મૂળ લાભાર્થીના અવસાન બાદ ચાર વારસદારના નામે જમીન વારસાઈ કરી છેલ્લે ચંદ્રકાન્ત લાભચંદ કોટકના નામે આવેલી છે. આ જમીનમાં નિયમ મુજબ વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું ન હોવાની સાથે ભાડાપટ્ટાની મુદત પણ પૂર્ણ થઇ હોય મદદનીશ કલેક્ટર રાજકોટ સિટી-2 દ્વારા શરતભંગના પગલાં લઈ વર્ષ 2025માં સરકાર દાખલ કરવા હુકમ કર્યો હતો. આ હુકમ સામે લાભાર્થીએ જિલ્લા કલેક્ટર સમક્ષ અપીલ કરી વૃક્ષની ઓછી સંખ્યા મામલે ક્લાઇમેટ ચેન્જની અસર તળે વૃક્ષ બળી ગયા હોવાનું તેમજ કેળા અને પપૈયાના વૃક્ષ બે વર્ષમાં જ સુકાઈ જતા હોવાનું અને ઝેરી અસર તળે અન્ય ઝાડ સૂકાઈ ગયાની દલીલ કરી હતી. જોકે જિલ્લા કલેક્ટરે છ એકર જમીનમાં નિયમ મુજબ 2021 વૃક્ષને બદલે માત્ર 448 વૃક્ષનું જ વાવેતર હોય મદદનીશ કલેક્ટરના હુકમને યથાવત્ રાખી જમીન સરકાર હસ્તક લેવા હુકમ કર્યો હતો. ફળઝાડના હેતુ માટે એક એકરે 335 વૃક્ષનું વાવેતર કરવું પડેસરકાર દ્વારા ફળઝાડના હેતુ માટે ફાળવવામાં આવતી સરકારી જમીનમાં નિયમ મુજબ પ્રતિ એક એકરમાં ફળઝાડના 200 અને ઇમારતી પ્રકારના 135 વૃક્ષ વાવેતર કરવાનો નિયમ છે. જે નિયમ મુજબ પ્રસ્તુત કેસમાં છ એકર જમીનમાં નિયમાનુસાર 2021 વૃક્ષ વાવવાને બદલે ભાડાપટ્ટે જમીન રાખનારે માત્ર 448 જ વૃક્ષ વાવ્યા હોવાનું પંચરોજકામમાં સામે આવ્યું હતું. ભાડાપટ્ટેદારે વૃક્ષ બળી જવા પાછળ જમીનમાં મુંડા આવી જવા, કુદરતી સુકારો, વાવાઝોડું, ઉંદર જવાબદાર હોવાની પણ અપીલ કેસ દરમિયાન દલીલ કરી હતી.
જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં તંત્રની લાપરવાહી અને બેદરકારીનો કહેર ફરી એક વાર સામે આવ્યો છે. વર્ષોથી જર્જરિત હાલતમાં ઊભેલી ઇમારતોનો એક સ્લેબ અચાનક તૂટી પડતા એક મહિલા લોહીલુહાણ થઈ ગઈ છે. બે વર્ષ પહેલાં આ જ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી થતાં ચાર લોકોના મોત થયા હતા ત્યારે તંત્રએ મોટા-મોટા બણગા ફૂંક્યા હતા પરંતુ, આજે પણ સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. સ્થાનિકોનો આક્રોશ એ હદે વધી ગયો છે કે, તેઓ હવે કહેવા લાગ્યા છે — કાડીયાવાડમાં હવે કિન્નરોને ચૂંટણી લડાવવી છે, કારણ કે સામાન્ય નેતાઓ અને તંત્ર તેમની વેદના સમજતા જ નથી. જૂનાગઢ શહેરના હાર્દ સમાન કડિયાવાડ વિસ્તારની ગ્રાઉન્ડ ઝીરો પરની વાસ્તવિકતા તપાસવા જ્યારે દિવ્ય ભાસ્કરની ટીમ પહોંચી ત્યારે અત્યંત ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા હતા. શું મકાન માલિકોને ભાડામાં રસ અને તંત્રને જાનહાનિની રાહ?કડિયાવાડ શાક માર્કેટમાં આજે પણ 50થી વધુ ઇમારતો અતિ જર્જરિત હાલતમાં અડીખમ ઉભી છે. નાની અને સાંકડી ગલીઓમાંથી હજારો લોકો પસાર થાય છે, જેમની ઉપર આ ઇમારતોના પોપડા અને લોખંડની ખીલાસરીઓ તલવારની જેમ લટકી રહી છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આવી જોખમી ઇમારતોમાં હજુ પણ 12થી વધુ વિધાર્થીઓ ભાડૂઆત તરીકે વસવાટ કરી રહ્યા છે. મકાન માલિકોને માત્ર ભાડામાં જ રસ છે અને તંત્રને કદાચ કોઈ મોટી જાનહાનિની રાહ જોવી હોય તેમ લાગે છે. 'હવે અમારે કિન્નરોને જ ચૂંટણી લડાવવી પડશે, કદાચ એ અમારી વેદના સમજે'કડિયાવાળમાં રહેતા ચંદ્રેશભાઈ પોપટ જે છેલ્લા 63 વર્ષથી બેલદાર શેરીમાં રહે છે, તેઓ આક્રોશ સાથે જણાવે છે કે કડિયાવાડમાં હાલના કોર્પોરેટરો માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે. આઠ-આઠ મહિના વીતી જવા છતાં ગટર, પાણી કે રોડના કામો થતા નથી. તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે હવે અમારે અહીં કોઈ રાજકીય નેતા નહીં પણ કિન્નરોને ચૂંટણી લડાવવી છે કારણ કે કદાચ તેઓ અમારી વેદના સમજશે. ચંદ્રેશભાઈ પોપટ જે મકાનમાં રહે છે તે અતિ જર્જરિત છે અને તેઓ પોતે આ બિલ્ડિંગ ઉતારી લેવા તૈયાર હોવા છતાં ભાડૂઆતો ખાલી કરતા નથી. તેઓ ભય વ્યક્ત કરતા કહે છે કે જો મનપા કમિશનર રૂબરૂ આવીને કડક હુકમ નહીં કરે, તો એક દિવસ તેઓ પોતે જ આ મકાનના કાટમાળ નીચે દટાઈને મૃત્યુ પામશે. 'એક વર્ષ પહેલાં ખરાબ રોડને કારણે મણકા તૂટી ગયા'કડિયાવાડ વિસ્તારની એક શેરીમાં રહેતા વસંતબેન તેરૈયાની આપવીતી પણ કંપારી છૂટી જાય એવી છે. તે જણાવે છે કે, આ વિસ્તારમાં ચાર મકાનો તો અત્યંત ભયજનક છે. વસંતબેન પોતે એક વર્ષ પહેલાં આ જ ગલીઓમાં ખરાબ રોડને કારણે અકસ્માતનો ભોગ બન્યા હતા અને તેમના મણકા તૂટી ગયા હતા છતાં કોઈ કોર્પોરેટરે તેમની ખબર સુદ્ધાં લીધી નહોતી. જ્યારે કોઈ મરી જાય ત્યારે આ નેતાઓ સ્મશાનમાં આવીને પણ ફોટા પડાવવા પહોંચી જાય છે, પરંતુ જીવતા માણસોની સુવિધા માટે તેમની પાસે સમય નથી. ગઈકાલે મહિલા ઇજાગ્રસ્ત થઈ તેનાથી લોકોમાં ભારે ગુસ્સો છે અને તેઓ કહે છે કે જવાબદારો લોકોની બદદુઆ લઈ રહ્યા છે. 'ત્રણ વર્ષથી ઇન્સ્પેક્ટરોને રજૂઆત છતાં એક નોટિસ નથી ફટકારી'વસ્તા લાધા શેરીમાં રહેતા મિલનભાઈ વ્યાસ જૂનાગઢ મહાનગરપાલિકાના તંત્રને સીધો પડકાર ફેંકી રહ્યા છે. તેઓ કહે છે કે તેમની ગલીમાં બે મકાનો એટલી ખરાબ હાલતમાં છે કે તેના છજ્જા ગમે ત્યારે કોઈના માથે ખાબકી શકે છે. ત્રણ વર્ષથી ઇન્સ્પેક્ટરોને રજૂઆત કરવા છતાં હજુ સુધી એક નોટિસ પણ પાઠવવામાં આવી નથી. મનપા કમિશનરને ચેલેન્જ આપે છે કે જો તેઓ રૂબરૂ આવીને તપાસ કરે અને એન્જિનિયરો આ મકાનોને સુરક્ષિત સાબિત કરી આપે, તો તેઓ કોઈપણ સજા ભોગવવા તૈયાર છે. છેલ્લા છ મહિનાથી અહીંની શેરીઓ ખોદી નાખવામાં આવી છે, જેના કારણે અનેક અકસ્માતો સર્જાય છે, પણ કોર્પોરેટરો એસી ચેમ્બરમાંથી બહાર નીકળતા નથી. ‘કાગળની કામગીરી છોડો ને ગ્રાઉન્ડ લેવલ પર ઊતરી મોતના માચડા દૂર કરો’વૃદ્ધા મનોરમાબેન જોશી પણ ડરના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. તે કહે છે કે, અમારે દરરોજ મોતના મુખમાં જીવવું પડે છે. રસ્તાઓ તો ખરાબ છે જ, પણ ઉપર જોતા ચાલવું પડે છે કે ક્યારે કોઈ પથ્થર કે સ્લેબનો ભાગ માથે પડે. કડિયાવાડ વિસ્તાર જૂનાગઢના નકશામાં હોય તેવું લાગતું જ નથી, કારણ કે અહીંના લોકોની વેદના સાંભળવા વાળું કોઈ નથી. તંત્રની આ લાપરવાહી અને મકાન માલિકોની લોભવૃત્તિ વચ્ચે કડિયાવાડનો સામાન્ય નાગરિક પીસાઈ રહ્યો છે. બે વર્ષ પહેલાં બનેલી ઘટનાનું પુનરાવર્તન થતા વાર નહીં લાગેજો સમય રહેતા આ 50થી વધુ જર્જરિત ઇમારતો સામે કાર્યવાહી કરવામાં નહીં આવે, તો બે વર્ષ પહેલાં બનેલી એ હૃદયદ્રાવક ઘટનાનું પુનરાવર્તન થતા વાર નહીં લાગે. જૂનાગઢ મહાનગરપાલિકાના અધિકારીઓએ કાગળ પરની કામગીરી છોડીને ગ્રાઉન્ડ લેવલ પર આવી આ મોતના માચડાઓ દૂર કરવા જોઈએ જેથી અન્ય કોઈ નિર્દોષ નાગરિકે પોતાનો જીવ ગુમાવવો ન પડે. મહાનગરપાલિકાનું તંત્ર કદાચ મોટી જાનહાનિ બાદ સફાળું જાગેજ્યારે આ તો માત્ર ભાસ્કરની નજરે ચડેલી જર્જરીત બિલ્ડીંગો છે ત્યારે હજુ પણ 50થી વધુ જર્જરીત બિલ્ડીંગો અને મકાનો કડિયાવાળમાં મોતના માચડા સમાન ઊભા છે. પરંતુ હાલ જે પ્રમાણે ઘટના ઘટી રહી છે તેના પરથી લાગી રહ્યું છે કે, કદાચ જુનાગઢ મહાનગરપાલિકાનું તંત્ર અને આ વિસ્તારના કોર્પોરેટરો કોઈ મોટી જાનહાનિ થાય અને ત્યારબાદ સફાળું જાગી કામગીરી કરે ત્યારે લોકોની વ્યથા અને વેદના એટલી હદ વટાવી ગઈ છે કે સ્થાનિકો પણ કહી રહ્યા છે કે હવે આ વિસ્તારમાં કિન્નરોને ચૂંટણી લડાવવી છે.
રેલવેમાં મુસાફરી કરતી વખતે જ્યારે કિંમતી સામાન ખોવાઈ જાય અથવા ભીડમાં નાનકડું બાળક વિખૂટું પડી જાય, ત્યારે મુસાફર પર શું વીતતી હોય છે તે કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આવી કટોકટીની પળોમાં રાજકોટ ડિવિઝનના રેલવે સુરક્ષા બળ (RPF) એ ‘ખાખી’ની સખ્તાઈની સાથે માનવતાનો એવો ચહેરો રજૂ કર્યો છે જે મિસાલ બની ગયો છે. નાણાકીય વર્ષ 2025-26 (01 એપ્રિલ 2025થી 31 માર્ચ 2026) દરમિયાન રાજકોટ RPF એ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નથી જાળવી, પણ ‘સેવા હી સંકલ્પ’ના મંત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યો છે. રાજકોટ RPFએ 1 વર્ષમાં 352 મુસાફરની રૂ.39 લાખની ‘અમાનત’ પરત કરી, ખોવાયેલા 27 ભૂલકાંને શોધી પરિવારને સોંપ્યા છે. મુસાફરી દરમિયાન ઉતાવળ કે ભૂલથી છૂટી ગયેલા સામાનને સુરક્ષિત રીતે તેના માલિક સુધી પહોંચાડવા માટે RPF એ ‘ઓપરેશન અમાનત’ ચલાવ્યું હતું. આ અંતર્ગત 352 મુસાફરને તેમનો અંદાજે રૂ.38,98,484 ની કિંમતનો સામાન (જેમાં લેપટોપ, મોબાઈલ, દાગીના અને રોકડનો સમાવેશ થાય છે) સહી-સલામત પરત સોંપવામાં આવ્યો છે. આ સિદ્ધિએ રેલવે પ્રશાસન પ્રત્યે લોકોનો વિશ્વાસ બેવડાવ્યો છે. RPFની સૌથી સંવેદનશીલ કામગીરી ‘ઓપરેશન નન્હે ફરિશ્તે’ હેઠળ જોવા મળી. સ્ટેશન કે ટ્રેનમાં પોતાના પરિવારથી વિખૂટા પડી ગયેલા 27 બાળકોને શોધીને કાઉન્સેલિંગ કરી તેમને સુરક્ષિત રીતે પરિવાર સાથે મિલાવ્યા હતા. તેવી જ રીતે ‘ઓપરેશન ડિગ્નિટી’ હેઠળ 12 અન્ય વ્યક્તિઓને પણ તેમના સ્વજનો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. RPFની એક વર્ષની કામગીરી પર નજર: ચેઈન પુલિંગના 446 કેસ નોંધ્યા
બોજ નહીં, સહારો બનવું છે:29 કિલોના દિવ્યાંગ યુવાન પણ પરિવારને કરે છે સહાય
જીવનમાં પરિસ્થિતિઓ ઘણીવાર માણસને નબળો બનાવી દે છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે પોતાની મર્યાદાઓને જ પોતાની શક્તિ બનાવી લે છે. રાજકોટના 35 વર્ષીય મિલનભાઈ અશોકભાઈ વ્યાસ એવી જ એક પ્રેરણાદાયી વ્યક્તિ છે. માત્ર 29 કિલો વજન ધરાવતા મિલનભાઈને સ્પાઇનની ગંભીર તકલીફ છે. જેના કારણે તેમના હાથ અને પગમાં સતત દુખાવો રહે છે અને શરીરનો વિકાસ પણ પૂરતો થયો નથી, છતાં આ શારીરિક મર્યાદાઓ તેમના મનોબળને નબળું બનાવી શકી નથી. છેલ્લા 6 વર્ષથી મિલનભાઈ અગરબત્તી વેચવાનો નાનો વ્યવસાય કરે છે. રોજ સવારે મવડી ચોકડી પાસે અને સાંજે 150 ફૂટ રિંગ રોડ પર ગોવર્ધન ચોક પાસે અગરબત્તી વેચતા જોવા મળે છે. તેમના પરિવારમાં કુલ 5 સભ્ય છે, જેમાં ભાઈ અને બહેન બંને મનોદિવ્યાંગ છે. પરિવારનું એકમાત્ર આવકનું સાધન તેમના પિતા અશોકભાઈ છે, જેઓની ઉંમર વધતી જાય છે. આવી પરિસ્થિતિમાં મિલનભાઈએ પરિવાર પર બોજ બનવાને બદલે જાતે કમાઈ પરિવારને સહારો આપવાનો સંકલ્પ લીધો છે. તેમની આ લાગણી અને મહેનત એ દર્શાવે છે કે, સાચું બળ શરીરમાં નહીં પરંતુ મનમાં હોય છે. મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે પણ હિંમત ન હારતા મિલનભાઈ આજે અનેક લોકો માટે જીવંત પ્રેરણા બની રહ્યા છે.
કોરોનાના કપરા કાળમાં સમગ્ર વિશ્વ જાણે થંભી ગયું હતું. આ સમય માત્ર શારીરિક બીમારીનો જ નહોતો, પરંતુ તેણે અનેક પરિવારોની આર્થિક અને માનસિક કમર તોડી નાખી હતી. આવા કટોકટીના સમયે લોકોના મનમાં આશાનો સંચાર કરવા માટે નિવૃત્ત બેંક કર્મચારી કમલેશ પંડ્યાએ નિવૃત્તિના સમયમાં મનોવૈજ્ઞાનિક પરામર્શ એટલે કે કાઉન્સેલિંગનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો. જરૂરિયાતમંદ લોકોને પૂરતો સમય આપી, તેમની વાતોને ધ્યાનપૂર્વક સાંભળીને તેમની માનસિક સ્થિતિનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવ્યું. આ કાર્યમાં માત્ર વાતો જ નહીં, પરંતુ ભાવાત્મક અને આધ્યાત્મિક અભિગમ પણ અપનાવવામાં આવ્યો. આ નિઃશુલ્ક સેવા માત્ર કોરોનાકાળ પૂરતી મર્યાદિત ન રહેતા ત્યારબાદ પણ ચાલુ રહી. આજે સમાજમાં અનેક પ્રશ્નો વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યા છે જેમાં વિદ્યાર્થીઓમાં પરીક્ષાનું દબાણ, અભ્યાસમાં નિષ્ફળતાનો ડર, પરિવારોમાં વધતી જતી સ્વાર્થવૃત્તિ અને મોબાઈલ કે અન્ય વ્યસનોને કારણે પતિ-પત્ની અને બાળકો વચ્ચે વધતું જતું અંતર એક ગંભીર સમસ્યા બની ગઈ છે. લોકો પાસે સમય હોવા છતાં તેઓ પોતાની જાત સાથે સમય વિતાવતા નથી. સોશિયલ મીડિયાના અતિરેકને કારણે માનવી અંદરથી એકલો પડી રહ્યો છે. આ તકે વધુમાં જણાવ્યું હતું કે, ઘણા કિસ્સાઓમાં તો લોકો “જીવનમાં હવે કોઈ રસ રહ્યો નથી’ તેવી ફરિયાદ સાથે આવે છે. આવા સમયે તેમને સર્જનાત્મક કાર્યો, સંગીત, વાંચન અને જીવનશૈલીમાં હકારાત્મક ફેરફાર લાવવાની પ્રેરણા આપવામાં આવે છે. મેડિકલ સાયન્સ પણ હવે સ્વીકારે છે કે મોટાભાગના શારીરિક રોગ ‘સાઇકોસોમેટિક’ એટલે કે માનસિક તણાવથી ઉદભવેલા હોય છે. અનેક સમસ્યાઓમાં કાઉન્સેલિંગ કરાયું કિસ્સો-1 વડીલ સાસુને માથાનો દુખાવો અને એસિડિટી રહેતા જેનું મુખ્ય કારણ પુત્રવધૂ સાથેનો વિખવાદ હતો. આ તકે યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. આ કિસ્સામાં સાસુ, પતિ, પુત્ર અને પુત્રવધૂ દરેકને અલગ-અલગ કાઉન્સેલિંગ કર્યું હતું. કિસ્સો-2 સતત બે વખત આપઘાતના પ્રયત્નો કરી ચૂકેલા ઉચ્ચ અભ્યાસ કરતાં વિદ્યાર્થીને એકધારા અઠવાડિયામાં ત્રણ વખત પોઝિટિવ થેરાપી આપી અને એક વર્ષમાં સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયા. આવા કિસ્સામાં આર્ટ ઓફ લિવિંગનો ખૂબ ધીરજપૂર્વક ઉપયોગ કરવો પડે છે.
દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... ભાજપ નેતાપુત્રોને ટિકિટની વાત આવતા વિરોધનો સૂર ઉઠ્યો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાની સાથે જ ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટી નીકળ્યો છે. દરેક વોર્ડમાંથી 50થી વધારે દાવેદારોએ પોતાની દાવેદારી કરી છે ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત થાય ત્યારે આંતરિક વિરોધ ચોક્કસ બહાર આવી શકે છે. કેટલાક વોર્ડમાં દાવેદારી નોંધાવનારા લોકોના વિરુદ્ધની વાતો પણ વહેતી કરવામાં આવી છે. અમદાવાદમાં એક જ પરિવારના લોકોને ટિકિટ આપવાથી લઈને પરિવારવાદ ન ચલાવવાની માંગ કાર્યકર્તાઓમાં ઉઠી છે. ભાજપના પૂર્વ કોર્પોરેટરો અને નેતાઓના પુત્ર અને તેમના સગા સંબંધીઓને ટિકિટ અપાવવા માટેનું લોબીંગ શરૂ થઈ ચૂક્યું છે ત્યારે કાર્યકર્તાઓમાં એક જ માંગ અને ચર્ચા ચાલી રહી છે કે ભાજપ પરિવારવાદ ન હોવાની વાત કરે છે. પરંતુ ભાજપમાં જ નેતાઓ પોતાના પુત્રો અને સગા સંબંધીને ટિકિટ અપાવવા માટે દોડધામ કરી રહ્યા છે. જેથી કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જોવા મળી શકે છે. ભાજપ કાર્યકર્તાઓ ટિકિટના લોબિંગ માટે કાર્યાલયના બદલે પ્રમુખના બંગલે પહોંચ્યા!અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે બે દિવસ ભાજપની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી જેમાં 192 બેઠક માટે દાવેદારી કરનારા દાવેદારો અને સાંભળવામાં આવ્યા હતા. 2300થી વધારે દાવેદારોએ પોતાની દાવેદારી બે દિવસમાં નોંધાવી હતી ત્યારબાદ શહેર ભાજપ પ્રમુખના બંગલે પણ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉમેદવારી માટે અને ટિકિટ મેળવવા માટે લાઈનો લગાવી હતી. શહેર પ્રમુખના બંગલે બીજા દિવસે સવારે ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો પહોંચી ગયા હતા બંગલે પ્રમુખને ટિકિટ માટે રજૂઆત કરી હતી. ખાસ કરીને ખાનપુર કાર્યાલય ખાતે મળવાની જગ્યાએ બંગલા ઉપર મોટી સંખ્યામાં દાવેદારો પહોંચી ગયા હતા. ઓવૈસીની સભા સમયે ભાજપના ખાનપુર કાર્યાલયમાં શાંત માહોલ દેખાયોસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થતાની સાથે જ પ્રચારની શરૂઆત રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં AIMIM પાર્ટી દ્વારા અમદાવાદના ખાનપુર વિસ્તારમાં ભાજપ કાર્યાલયની બહાર જ જાહેરમાં સભા કરીને ભાજપ વિરુદ્ધ સંબોધન કરવામાં આવ્યું હતું. રાજ્યના નાયબ મુખ્યમંત્રીથી લઈને ભાજપના નેતાઓ વિશે બોલવામાં આવ્યું હતું. ભાજપ કાર્યાલયની બહાર જ યોજાયેલી સભાને લઈ ભાજપ કાર્યાલય પર સોંપો પડી ગયો હતો. કાર્યાલયમાં એક પણ ભાજપના નેતા ચૂંટણી હોવા છતાં સાંજે 07:00 વાગ્યા બાદ કોઈપણ ખાસ મોટા નેતા કે કાર્યકર્તા કાર્યાલય પર જોવા મળ્યા નહોતા. ચૂંટણી હોય ત્યારે અમદાવાદ જેવા સૌથી મોટા શહેરના ભાજપના કાર્યાલય ઉપર ઓવેસીની સભાના કારણે ખાલીખમ જોવા મળ્યું હતું ભાજપમાં ‘મૌન’નો આદેશ! ઉમેદવાર સેન્સ પ્રક્રિયામાં નિરીક્ષકોને મીડિયાથી દૂર રાખાયાસ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીને લઈ ભાજપમાં ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે, પરંતુ આ પ્રક્રિયા વચ્ચે પાર્ટીમાં એક અલગ જ ‘મૌન રાજકારણ’ જોવા મળી રહ્યું છે. જ્યાં જ્યાં ચૂંટણી યોજાનાર છે ત્યાં નિરીક્ષકોની નિમણૂક તો કરવામાં આવી છે, પરંતુ તેમને મીડિયા સમક્ષ કોઈપણ પ્રકારનું નિવેદન ન આપવાનું ઉપરથી કડક નિર્દેશ આપવામાં આવ્યો છે. સૂત્રો મુજબ, પાર્ટીને ભય છે કે કોઈ નેતા બોલતાં બોલતાં વિવાદ ઊભો ન કરી દે, તેથી માત્ર નિર્ધારિત પ્રવક્તાઓને જ બોલવાની છૂટ આપવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે પ્રશ્ન કંઈ પણ પૂછવામાં આવે, પરંતુ જવાબ હંમેશા પાર્ટી લાઇન મુજબ જ આપવામાં આવી રહ્યો છે, જેને કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ગરમાઈ છે. કોંગ્રેસમાંથી આવેલા નેતાને ટિકિટ મળવાની વાત ફેલાતા રાજકોટ ભાજપ કાર્યકર્તાઓમાં નારાજગીસ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ઉમેદવારોની પસંદ માટે પ્રક્રિયા ચાલી રહી છે અને આ જ સમયે દરેક શહેર જિલ્લામાં કોને ટિકિટ મળશે કોની કપાશેની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. ભાજપમાં નવા સંગઠનની જાહેરાતથી અનેક જુના કાર્યકર્તાઓમાં નારાજગીના સુર સંભળાયા હતા. પરંતુ હવે સૌરાષ્ટ્રના પાટનગરમાં ઉમેદવારોની પસંદગીને લઇ પણ નારાજગી જોવા મળી રહી છે. ચર્ચા એવી છે કે કોંગ્રેસમાંથી આવેલા એક યુવા નેતાને ભાજપે ગત ટર્મમાં ટિકિટ તો આપી હતી પરંતુ હવે તેમને રિપીટ કરવાની વાતો થતા નારાજગી જોવા મળી રહી છે. સાથે તેઓ વિસ્તારના સ્થાનિક ન હોવા, મનપાના ભ્રષ્ટ TPOમાં ભાગીદાર હોવા અને આયાતી ઉમેદવાર હોવાનો ગણગણાટ થઇ રહ્યો છે. ભાજપના જ વિસ્તારના કાર્યકર્તા અને આગેવાનો પણ આ વાતથી નારાજગી દર્શાવી રહ્યા છે. જો કે કોંગ્રેસમાંથી આવેલા અને પહેલી જ ટર્મમાં વિવાદમાં સપડાયેલ આ યુવા નેતાને ટિકિટ મળશે કે કેમ તે જોવું મહત્વનું રહેશે. પ્રિલિમ, મેઈન્સ અને નેગેટિવ માર્કીંગ વગર ક્લાસ-2ની પરીક્ષા લેવાતા આશ્ચર્યસુરત મહાનગરપાલિકા (SMC)ની 2018ની Class-2 ભરતીની પરીક્ષા તાજેતરમાં લેવામાં આવેલ જે પરીક્ષા ચર્ચામાં આવી ગઈ છે. કારણ કે 2 કલાકનું 100 માર્ક્સનું પેપર ઉમેદવારો માત્ર 1 કલાકમાં જ પૂરૂં કર્યું હતું, સૌથી મોટો મુદ્દો એ છે કે આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ નહોતું અને કોઈ ઇન્ટરવ્યૂ નથી. જેના કારણે ઉમેદવારોમાં “આટલી સરળ પરીક્ષા Class-2 માટે કેવી રીતે?” તેવો સવાલ ઉઠી રહ્યો છે, ખાસ કરીને જ્યારે ગુજરાત સરકારની Class-3 ભરતીમાં પણ પ્રિલિમ્સ અને મેઇન્સ જેવી કઠિન પ્રક્રિયા હોય છે, ત્યારે SMCની આ સીધી અને સરળ સિસ્ટમ ચર્ચાનો વિષય બની ગઈ છે, સાથે જ સુરતની ભરતી માટે પરીક્ષા સેન્ટર અમદાવાદ રાખવામાં આવવું પણ હવે ચર્ચાને વધુ બળ આપી રહ્યું છે. IAS હિતેષ કોયાએ વયનિવૃત્તિ પહેલા જ નોકરી છોડી,કારણ શું, એક સિનિયર IASનું ટોર્ચર ?2008ની બેચના પ્રમોટી IAS અધિકારી હીતેશ કે કોયાએ પોતાની વયનિવૃત્તિ પહેલાના આઠ મહિના પહેલા જ સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ લેતા સચિવાલયમાં જાતજાતની ચર્ચા શરુ થઈ છે. તેમણે ક્યા કારણોસર રાજીનામું આપ્યું છે તે જાહેર કરાયુ નથી. પરંતુ નિવૃત્તિના આઠ મહિના પહેલાં સરકારી નોકરીમાંથી દૂર થયા એ વાસ્તવિકતા છે. મૂળ જામનગરના વતની એવા આ પ્રમોટી IAS નવેમ્બર 2026માં નિવૃત્ત થવાના હતા. તેમણે છેલ્લે ડેવલપમેન્ટ કમિશનર તરીકે ફરજ બજાવી છે. ચર્ચા એવી છે કે, સચિવાલયમાં જ ફરજ બજવતા એક માથાભારે અને માથાફરેલા IAS અધિકારી કોયા પર માનસિક ટોર્ચર કરી રહ્યા હતા. આ અંગે કોયાએ પોતાના કેટલાક નજીકના માણસો સાથે વાતચીત પણ કરી હતી. આખરે આ ટોર્ચરમાંથી છૂટવા માટે તેમણે નોકરી જ છોડી દીધી છે.હવે આ માથાફરેલા અધિકારી કોણ છે તેની કાનાફૂસી થઈ રહી છે. નાયબ મુખ્યમંત્રીના કાર્યાલય પર વોચ રાખવા માટે પ્રથમવાર એક IAS અધિકારીની નિયુક્તિગુજરાતમાં સામાન્ય રીતે મુખ્યમંત્રી કાર્યાલયમાં IAS અધિકારીઓની નિયુક્તિ થતી હોય છે પરંતુ કેબિનેટના અન્ય કોઇ મંત્રીની કચેરીમાં IAS મુકાતા નથી. પરંતુ આ વખતે પહેલીવાર નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના કાર્યાલયમાં સેક્રેટરી તરીકે 2014ની બેચના IAS અધિકારી આશિષ કુમારની નિયુક્તિ કરાઈ છે. તેમની પાસે હાલ ટ્રાયબલ ડેવલપમેન્ટના ડાયરેક્ટરનો એડિશનલ ચાર્જ યથાવત રહેશે. આ પહેલાં જ્યારે નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી હતા ત્યારે તેમના કાર્યાલયમાં IASની નિયુક્તિ થઇ નહોતી.જ્યારે રુપાણી સરકારમાં હોમ મિનિસ્ટર રહેલા પ્રદીપસિંહ જાડેજાના કાર્યાલયમાં પણ કોઈ IAS અધિકારી નહોતા. ભુતકાળમાં ક્યારેય આવી નિયુક્તિ થઈ નથી. મૂળ ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરના વતની આશિષ કુમાર બી.ટેક થયેલા છે.ચર્ચા એવી છે કે, ગૃહમંત્રીની કાર્યપધ્ધતિ પર વોચ રાખવા માટે કેન્દ્રની સૂચનાથી તેમને અહીં મુકાયા છે.મહિલા IASને દિલ્હી મોકલવાના હોવા છતા ત્રણ ત્રણ ઓર્ડર થયાસરકારી તંત્રમાં કેટલીયે વાર લોલંલોલ ચાલતુ હોવાનુ બહાર આવતુ હોય છે. ગત અઠવાડીયે ફરીથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સિનિયર IAS મહિલા અધિકારી આરતી કંવરનો દિલ્હી ડેપ્યુટેશન પર જવાનો ઓર્ડર થયો છે. સરકારને ખબર જ હતી કે, તેમની અરજી પેન્ડીંગ છે અને ગમે ત્યારે દિલ્હી મોકલવા પડશે. આમછત્તા સરકારે તેમને જૂદી જૂદી જવાબદારી સોંપી હતી.સૌ પ્રથમ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થોડી મોડી થતા કોર્પોરેશનોમાં વહીવટદોરની નિમણૂકો કરાઈ હતી. જેમાં કંવરને જામનગરમાં મુકાયા હતા. ત્યારબાદ તુરંત જ એટલે કે આ ઓર્ડરના બીજા દિવસે સરકારે તેમને એક જીલ્લામાં પ્રભારી સચિવની જવાબદારી સોંપી દીધી હતી. આ બન્ને ઓર્ડર થયા બાદ દિલ્હીથી તેડુ આવતા ફરીથી સરકારે ત્રીજો ઓર્ડર કરીને તેમને દિલ્હી જવાની મંજૂરી આપી દીધી છે.જો કે, આરતી કંવરની થોડા સમય પહેલા જ જીએસટી કમિશનર તરીકે નિયુક્તિ કરાઈ હતી. બ્યુરોક્રેટ્સમાં આરતી કંવરના ગણતરીના દિવસોમાં જ ત્રણ ત્રણ ઓર્ડર થયા તેની ચર્ચા થઈ રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ગઈ છત્તા સરકારે કલેક્ટરો-ડીડીઓની બદલીઓ ના જ કરીવડાપ્રધાન મોદીની ગુજરાતની મુલાકાત પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થઈ જશે એ નક્કી હતુ. સરકારને આ બાબતની જાણકારી પણ હતી જ.આમછત્તા કલેકટરો અને ડીડીઓની બદલીઓના ઓર્ડર કર્યા નહોતા. છેલ્લા એક મહિનાથી સચિવાલયમાં ચર્ચા હતી કે, વિધાનસભાનુ બજેટ સત્ર પૂરુ થયા બાદ અને ચૂંટણીની આચારસંહિતા લાગે તે પહેલા જ સામૂહિક બદલીઓના ઓર્ડર થશે. કેટલાક કલેક્ટરોએ તો મહત્વના કામો કરવાનુ પણ છોડી દીધુ હતુ. નવા પ્રોજેક્ટ કે કામગીરી શરુ કરી નહોતી. બેથી અઢી વર્ષ કે તેનાથી વધુ સમયથી ફરજ બજાવતા કલેક્ટરો-ડીડીઓ પોતાની બદલીની રાહ જોતા હતા પણ ચૂંટણી જાહેર થયા છત્તા બદલી થઈ નથી.હવે ફરીથી દોઢ મહીનો જેટલી રાહ જોવી પડશે. જો કે, ચૂંટણી પંચ અમુક કલેક્ટર કે ડીડીઓની બદલી કરે તો નવાઈ નથી. સેન્સની જગ્યાએ નોનસેન્સ સવાલો કરાતા ભાજપના દાવેદારો નારાજસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા અલગ અલગ નિરીક્ષકો શહેર અને જિલ્લામાં મોકલવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદમાં એક જગ્યા પર મોકલવામાં આવેલા નિરીક્ષકોને લઈને ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. નિરીક્ષકો દ્વારા ભાજપની સેન્સ પ્રક્રિયામાં લાલિયાવાડી બતાવવામાં આવી હતી. ભાજપના કાર્યકર્તાઓમાં ગણગણાટ જોવા મળ્યો હતો કે, આવા નેતાઓ કોઈપણ પ્રકારની સેન્સની જગ્યાએ નોનસેન્સ સવાલો કરી રહ્યા છે. ખૂબ જ વિવાદ આસપાસ ગણાતા એવા વોર્ડની સેન્સ લેવા આવેલા નિરીક્ષકોમાં રોષ જોવા મળતા આગામી દિવસોમાં આ વોર્ડમાં ઉમેદવારો જાહેર કરવામાં આવશે ત્યારે કાર્યકર્તાઓમાં ભારે અસંતોષ અને તેમની વ્યથા ચોક્કસથી બહાર આવે તેવી ચર્ચા છે. ભાજપની સોશિયલ મીડિયા પર નબળી કામગીરીની કેન્દ્રીય નેતાઓએ નોંધ લીધીગુજરાત ભાજપના સંગઠનમાં પાર્ટીના નેતાઓ સોશિયલ મીડિયા ઉપર સક્રિય ન હોવા અંગેની નોંધ કેન્દ્રીય નેતાઓએ પણ લીધી છે. ભાજપનું સોશિયલ મીડિયા નબળું છે ત્યારે ભાજપ મીડિયામાં વિભાગમાં શહેર અને જિલ્લામાં નેતાઓની નિમણૂક કરવામાં આવી છે જે નિષ્ક્રિય કામગીરી કરી રહ્યા હોય એવો ઘાટ જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા સારી કામગીરી કરવામાં આવતી હોય તેની માહિતી પણ હવે મીડિયા સુધી પહોંચાડવામાં ભાજપના જ નેતાઓને રસ ન હોય એવી નીતિ અપનાવવામાં આવી હોય તેમ માત્ર શહેર અને જિલ્લાઓમાં મીડિયા વિભાગમાં નામો જાહેર કરી દીધા છે. પરંતુ કોઈ પણ પ્રકારની સક્રિયતા જોવા મળી રહી નથી જેને લઈને ચર્ચા જાગી છે કે માત્ર હોદ્દાઓ મેળવવામાં રસ છે. મીડિયામાં માહિતી આપ લે કરવામાં મીડિયા વિભાગના હોદ્દેદારો નેતાઓ નિષ્ફળ ગયા છે. અમદાવાદ પશ્ચિમના એક વોર્ડમાં ભાજપની આંતરિક જૂથબંધી પાર્ટીને નડી શકેસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અમદાવાદ કરવામાં આવી છે તેની વચ્ચે અનામત રોટેશનમાં કેટલીક જગ્યાએ અનુસૂચિત જાતિ અને ઓબીસી ઉમેદવાર નક્કી કરવાના છે ત્યારે અમદાવાદના પશ્ચિમ વિસ્તારના એક વોર્ડમાં ભાજપનો આંતરિક વિખવાદ ખૂબ જ સપાટી ઉપર આવી ગયો છે. વોર્ડ પ્રમુખ દ્વારા જેની સામે છેતરપિંડીનો કેસ થયો છે એવા એક વ્યક્તિને બનાવવામાં આવ્યો હોવાની ચર્ચા સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓમાં થઈ રહી છે. ભાજપના આંતરિક વિખવાદો ખૂબ જ સપાટી ઉપર છે અનુસૂચિત જાતિના એક મહામંત્રી દ્વારા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરવામાં આવી હતી તેમાં ફોટો એડિટિંગ કરવામાં આવ્યું હતું. તેને લઈને પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી છે. પશ્ચિમ વિસ્તારના આ વોર્ડમાં કોંગ્રેસ મજબૂત છે ત્યારે આ વિસ્તારમાં ભાજપનો આંતરિક વિખવાદ કોંગ્રેસને ખૂબ જ ફાયદો કરાવી શકે તેમ છે. ભાજપના મધ્યસ્થ કાર્યાલયના સ્થળને લઈ કાર્યકર્તાઓમાં ચર્ચાસ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ તમામ બેઠકો પર જીત મેળવવા માટે થઈને અત્યારથી જ તૈયારીઓ કરી રહી છે. પરંતુ કેટલાક વોર્ડમાં ભાજપના નેતાઓની યોગ્ય કામગીરી ન હોવાના કારણે થઈને ભાજપ આ બેઠકો જીતી શકે તેમ નથી. શહેરના વિસ્તારમાં એક વોર્ડ મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે પરંતુ જે વિસ્તારમાં ભાજપના મતદારો છે એવા જ વિસ્તારમાં મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. ભાજપના કાર્યકર્તાઓમાં એક એવી ચર્ચા જાગી રહી છે કે જ્યાં ખરેખર કોંગ્રેસના મતદારો છે તેવા વિસ્તારમાં ભાજપનું કાર્યાલય હોવું જોઈએ એના કારણે થઈને લોકો ભાજપની સાથે જોડાઈ શકે. પરંતુ ભાજપના નેતાઓએ કાર્યાલય પોશ વિસ્તારમાં ખોલ્યું છે. જેના કારણે થઈને જે કોંગ્રેસના મતવિસ્તારના ઉમેદવારો છે તે ભાજપ સાથે જોડાઈ શકશે નહીં અને ભાજપને તેમાં કોઈ ફાયદો થઈ શકે તેમ નથી.
સુરત મનપાલિકાની ચૂંટણીના ઢોલ વાગી રહ્યા છે અને તમામ રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ગયા છે. જોકે, આ તૈયારીઓ વચ્ચે ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ છે. સુરતના વોર્ડ નંબર 29 (અલ્થાન, બમરોલી અને વડોદ)માં આવતા વડોદ આવાસની હાલત અત્યંત દયનીય છે. અહીં લગભગ 1500 મકાનોમાં વસતા 5000થી વધુ લોકો નરકાગાર જેવી સ્થિતિમાં જીવી રહ્યા છે. આવાસની દરેક ગલીઓમાં કચરાના ઢગલા અને ડ્રેનેજના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે, જેના કારણે સ્થાનિકોનો શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે. જયારે નંદઘર અને ક્લિનિક પાસે પણ ડ્રેનેજની ગંદકી જોવા મળી હતી. સ્થાનિકોએ કહ્યું, બાળકોમાં બીમારીનું જોખમ વધ્યું અને પહેલા સફાઈ કરો તો જ વોટ આપીશું ચીમકી ઉચ્ચારી છે. નંદઘર અને ક્લિનિક પાસે જ ગંદકીના ઢગલાસ્થાનિકોની સૌથી મોટી ફરિયાદ એ છે કે જ્યાં સરકારી સુવિધાઓ હોવી જોઈએ ત્યાં જ ગંદકીનું સામ્રાજ્ય છે. વડોદ આવાસમાં આવેલા નંદઘર કમ્યુનિટી હોલ અને સરકારી ક્લિનિકની બિલકુલ બાજુમાં કચરાના મોટા પહાડો ખડકાયા છે. લોકો અહીં સુવિધા માટે આવે છે પરંતુ ગંદકી અને દુર્ગંધનો સામનો કરવો પડે છે. ક્લિનિકમાં આવતા દર્દીઓ અને બાળકો આ ગંદકીના કારણે વધુ બીમાર પડી રહ્યા છે, છતાં તંત્ર દ્વારા આ કચરો દૂર કરવાની કોઈ તસ્દી લેવામાં આવતી નથી. ગંદકીના કારણે બાળકોમાં બીમારીનું જોખમ વધ્યુંઆવાસની ગલીઓમાં વહેતા ગટરના પાણી અને કચરામાં જ માસૂમ બાળકો રમવા માટે મજબૂર છે. ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોનો ખતરો સતત મંડરાતો રહે છે. ગરીબ પરિવારો જે રોજનું કમાઈને રોજ ખાય છે, તેઓ કમાણી છોડીને બાળકોની સારવાર માટે દોડધામ કરે કે પેટ ભરે? તે મોટો સવાલ છે. 'વોટ માંગવાનો સમય આવે ત્યારે નેતાઓ હાથ જોડીને આવે છે'સ્થાનિક રહીશ મમતાબેને જણાવ્યું કે, તેમની દુકાન અને ઘરની આસપાસ એટલી ગંદકી છે કે ત્યાં ઊભા રહેવું પણ મુશ્કેલ છે. બાળકો આ ગંદકી વચ્ચે મોટા થઈ રહ્યા છે. જ્યારે વોટ માંગવાનો સમય આવે ત્યારે જ નેતાઓ હાથ જોડીને આવે છે અને મોટા વાયદાઓ કરીને ચાલ્યા જાય છે. 5 વર્ષમાં એકવાર પણ કોઈ નેતાએ અહીં આવીને એવું નથી પૂછ્યું કે તમે કઈ હાલતમાં જીવો છો. 'ટેક્સ ભરાવશે, પણ કોઈ સાફ-સફાઈની વ્યવસ્થા નથી'સ્થાનિક દુકાનદાર અશોક ભાઈએ જણાવ્યું કે, પૈસા લેવા આવશે, ટેક્સ ભરાવશે, ઘરવેરો ભરાવશે, પણ અહીંયા કોઈ સાફ-સફાઈની વ્યવસ્થા નથી. એસએમસી (SMC)ની સાઉથ ઝોનની ઓફિસ અહીંયા જ છે, એ લોકો પણ જોઈ રહ્યા છે કે પાણી રસ્તા પર વહી રહ્યું છે, છતાં કોઈ વ્યવસ્થા નથી થતી. નેતાઓ તો જ્યારે ચૂંટણી આવે ત્યારે જ વોટ માંગવા આવે છે, પછી દેખાતા જ નથી. 'પીવાનું પાણી ગંદુ આવે અને વાસ મારે છે'સ્થાનિક કોકિલાબેને જણાવ્યું હતું કે, અહીં પાણી સવારે ગંદુ આવે અને વાસ મારે છે. કચરાવાળા પણ આવે તો ઢગલો કરીને ચાલ્યા જાય, પછી એને લઈ નથી જતા. અમને તો એ પણ ખબર નથી કે કોર્પોરેટર કોણ છે કે કયા સાહેબ છે, અમે તો જૂના ઘરે જઈને વોટ આપી આવીએ છીએ પણ અહીં કોઈ નેતા જોવા આવતું નથી. 'બસ પેલા છોકરાઓ આવીને કાપલીઓ આપી જાય છે'સ્થાનિક કલાબેને જણાવ્યું હતું કે, કોઈ નેતા નથી આવતું, ખાલી વોટિંગ જોઈતું હોય ત્યારે જ આવી જાય છે. આ બધી બિલ્ડિંગોની સફાઈ કરવા કોઈ નથી આવતું, અમારે જાતે જ બધું કરવાનું હોય છે. નેતાઓ નથી આવતા, બસ પેલા છોકરાઓ આવીને કાપલીઓ આપી જાય છે એટલે અમે વોટ દઈ આવીએ છીએ. આઠ-આઠ વર્ષથી જનતા પરેશાન, કોઈ ઉકેલ નહીંવડોદ આવાસમાં રહેતા લોકોનો આક્ષેપ છે કે, તેઓ છેલ્લા 8 વર્ષથી આવી જ રીતે નરક જેવી સ્થિતિમાં રહે છે. વારંવાર રજૂઆતો કરવા છતાં માત્ર કામચલાઉ સફાઈ થાય છે. ગટરની લાઈનો વારંવાર ચોકઅપ થઈ જાય છે અને ગંદુ પાણી રસ્તા પર ફેલાઈ જાય છે. આ ગંદકીમાં જીવવું એ હવે અહીંના લોકોની મજબૂરી બની ગઈ છે. પ્રશાસન અને લોકપ્રતિનિધિઓ બંને આ ગંભીર મુદ્દે મૌન સેવીને બેઠા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 એપ્રિલે યોજાવાની છે. ત્યારે રાજકીય પક્ષો અમદાવાદમાં મતદારોને રીઝવવા મેદાને પડ્યા છે. પરંતુ વોર્ડ નં. 42 ઇન્દ્રપુરીના મતદારોનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. દિવ્ય ભાસ્કરની ટીમે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો ત્યારે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક કિરણભાઈએ કહ્યું, ફક્ત નામ ઇન્દ્રપુરી છે બાકી સ્થિતિ તો નર્કાગાર જેવી છે, જ્યારે ઇન્દ્રપુરી વોર્ડ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ રાજેન્દ્ર સિંઘલએ કહ્યું કે, છ મહિનાથી આ રોડ બંધ છે, કોર્પોરેટરો આવતા જ નથી. વરસાદમાં રોડ પર કેડ સમાં પાણી ભરાય છે. રસ્તાઓ બિસ્માર હાલતમાં છે અને ટ્રાફિકની સમસ્યાથી લોકો પીડાય છે. રસ્તાઓ બિસ્માર હાલતમાં, ટ્રાફીકની સમસ્યાવોર્ડ નં. 42માંથી વડોદરા એક્સપ્રેસ હાઈવે પસાર થાય છે. મોટા ભાગના લોકો ત્યાંથી મુસાફરી કરતા હોય છે. પરંતુ આ વોર્ડના રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. આ સ્વિમિંગ પૂલ, લાઇબ્રેરી, સીટીએમ મિલ, ગાય સર્કલ, સુરેલીયા સર્કલ, બરોડા એક્સપ્રેસ હાઈવે અને રાજેન્દ્ર ચાર રસ્તા વગેરે વિસ્તારો આવેલા છે. ટ્રાફીકની સમસ્યાથી પણ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે જાણીએ વોર્ડ નં.42ના લોકોએ ઇન્દ્રપુરી વોર્ડ વિશે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં શું જણાવ્યું. 'ક્યાંય ફૂટપાથના ઠેકાણા નથી, રોડ-રસ્તાના ઠેકાણા નથી'ઇન્દ્રપુરી વોર્ડ કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્ર સિંઘલએ વધુમાં કહ્યું કે, લગભગ એકાદ વર્ષ પહેલાં આ CTM ચાર રસ્તા બંધ કરવામાં આવ્યા હતા ત્યારે સફિન હસનને અમે મળ્યા હતા. મેં કહ્યું હતું કે, આ ચાર રસ્તા બંધ કરો છો, બે ઓવરબ્રિજ છે, તંત્રની બેદરકારીના કારણે આ તમે ચાર રસ્તા બંધ કરી રહ્યા છો. તેઓએ ત્યારે મને એવું આશ્વાસન આપ્યું હતું કે, રાજુભાઈ, મને ચાર રસ્તા બંધ કરવા દો, હું તમારું CTM ચાર રસ્તા જંક્શન બનાવી દઈશ. અત્યારે જોઈ શકો છો ચાર રસ્તા પર ક્યાંય ફૂટપાથના ઠેકાણા નથી, રોડ-રસ્તાના ઠેકાણા નથી. 'વરસાદ પડવાથી રોડ પર કેડ સમાં પાણી ભરાય છે'સિંઘલએ વધુમાં જણાવ્યું કે, હાલ આપણે જે જગ્યાએ ઉભા છીએ તે જગ્યાએ છ મહિના પહેલા ભુવો પડ્યો હતો. એ છ મહિનાથી ભુવો પડેલો છે, હજુ સુધી એનું પુરાણ કરવામાં આવતું નથી. રોડ રસ્તા બંધ છે. આ જ રોડ પર વરસાદ પડવાથી કેડ સમાં પાણી ભરાઈ જાય છે. 'કુશાભાઉ ઠાકરે હોલની અંદર છતમાંથી પાણી ટપકે છે'કુશાભાઉ ઠાકરે હોલ વિશે રાજેન્દ્ર સિંઘલએ જણાવ્યું કે, થોડાક આગળ જાઓ તો ગાય સર્કલની આગળ કુશાભાઉ ઠાકરે હોલ છે. જે હોલની અંદર ફાયર સેફ્ટીની કોઈ સુવિધા નથી. છેલ્લા એક વર્ષથી હું ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં લખું છું કે સાહેબ, આ હોલની અંદર દરવાજાના ઠેકાણા નથી. ઉપર છતમાંથી પાણી ટપકે છે. અંદર પાણી ભરાઈ જાય છે. પાર્કિંગની અંદર ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા નથી. 'ડ્રેનેજની સમસ્યા તો અપરંપાર, પીવાનું પાણી મળતું નથી'સિંઘલે જણાવ્યું હતુ કે, સુરેલિયા રોડ ઉપર અત્યારે હાલ ચોમાસામાં કેડ સમાં પાણી ભરાઈ જાય છે. લોકોને હાલ પીવાનું પાણી મળતું નથી અને જે મળે છે તે ગંદુ આવી રહ્યું છે. ડ્રેનેજની સમસ્યા તો અપરંપાર છે. CTM ચાર રસ્તાથી કેનાલ સુધીમાં કોર્પોરેશને 10 જગ્યાએ ખોદકામ કર્યું છે. એક મહિનાથી આ લોકો ખોદીને પાછા પૂરે છે અને બીજે ખોદે છે. 'ભાજપના નામે મત લઈ જાય છે, પ્રજાના કામોના નામે મત મળતા નથી'રાજેન્દ્ર સિંઘલએ કહ્યું કે, કોર્પોરેટરોમાં એક કોર્પોરેટર તો એક્સપાયર થઈ ગયા છે. બાકીના ત્રણમાંથી એક પણ કોર્પોરેટર અહીં આવતા નથી. આ લોકો ભાજપના નામે મત લઈ જાય છે, પ્રજાના કામોના નામે એમને મત મળતા નથી. જો સેવા જ કરી રહ્યા હોય, તો અમે કોંગ્રેસના કાર્યકરો સેવા કરીએ છીએ. ઇન્દ્રપુરી વોર્ડમાં ક્યારેય કોંગ્રેસ જીતી નથી, છતાં છેલ્લા 30 વર્ષથી અમે પ્રજાની સાથે છીએ અને પ્રજાની વચ્ચે જ છીએ. 'આંગણવાડી 4 વર્ષથી બંધ હાલતમાં છે'વધુમાં રાજેન્દ્ર સિંઘલએ કહ્યું કે, ઇન્દ્રપુરી વોર્ડમાં તમને કોઈ ડેવલપમેન્ટ દેખાશે જ નહીં. પુલ નીચે શાકભાજીની લારીઓ વાળા ઉભા છે, એમના માટે અમે માંગણી કરી છે કે ખુલ્લો પ્લોટ પડ્યો છે ત્યાં શાક માર્કેટની વ્યવસ્થા કરી આપો, પણ એ કરવામાં આવતું નથી. આ સિવાય ઇન્દ્રપુરી વોર્ડમાં એક આંગણવાડી બનાવેલી છે જે લગભગ 4 વર્ષથી બંધ હાલતમાં છે. ત્યાં મારી હાઈટ સમાન ઘાસ ઉગી ગયું છે અને અંદર દારૂ-જુગાર જેવા ધંધા ચાલે છે. 'ફક્ત નામ ઇન્દ્રપુરી છે બાકી સ્થિતિ તો નર્કાગાર જેવી છે'સ્થાનિક કિરણભાઈએ જણાવ્યું હતું કે, અમારા ઇન્દ્રપુરીમાં એક સ્વિમિંગ પૂલ અને એક લાઇબ્રેરી બનાવવામાં આવી હતી. જે અહીં સીટીએમ ચાર રસ્તાથી ફક્ત 20 ફૂટના અંતરે આવેલ છે અત્યારે એની હાલત મૃતપાય હાલતમાં છે. ભાજપના પૂર્વ કોર્પોરેટરનો સંપર્ક કર્યો, પણ તેને વાત ના કરી આ અંગે દિવ્ય ભાસ્કરે ઇન્દ્રપુરી વોર્ડના ભાજપના પૂર્વ કોર્પોરેટર કૌશિક ભાઈ પટેલનો સંપર્ક કરતા તેઓએ વાત કરવા બાબતે બહાના બનાવ્યા હતા અને દિવ્ય ભાસ્કર સાથે કોઈ વાત કરી ન હતી.
આગામી 26 એપ્રિલના રોજ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે.ત્યારે શહેરના વોર્ડ નંબર 1ના વિસ્તારોમાં ગ્રાઉન્ડ ઝીરો પર દિવ્ય ભાસ્કરની ટીમ પહોંચી હતી.જેમાં રૈયાધાર વિસ્તાર જે ગામડા જેવો હોવાનું અને ત્યાં સફાઈ સહિતનાં પ્રશ્ને લોકોમાં રોષની લાગણી હોવાનું જોવા મળ્યું હતું.એટલું જ નહીં પોશ વિસ્તાર ગણાતા આલાપ ગ્રીન સિટી પાછળ કે જ્યાં કરોડોના બંગલા અને ફ્લેટ ત્યાં પણ પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનું સામે આવ્યું. સ્થાનિક રાહુલ મોભેરાએ જણાવ્યું હતું કે ચોમાસામાં દેડકા દેખાય,એમ ચૂંટણી આવે ત્યારે નેતાઓ દેખાય છે. જ્યારે શહેરમાં નવા ભળેલા ઘંટેશ્વર વિસ્તારના કલ્યાણ પાર્કના સ્થાનિકોએ તો મતદાનનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. તો ભાજપના પૂર્વ કોર્પોરેટરે સબ સલામતના દાવા અને વિકાસ કાર્યો ગણાવ્યા. જ્યારે કોંગ્રેસના આગેવાને કહ્યું કે લોકો આ સરકારથી ત્રાહિમામ છે અને પરિવર્તન ઈચ્છી રહ્યા છે. વિકાસ માત્ર કાગળ પર:શૈલેષ મોભેરારૈયાધાર વિસ્તારમાં રહેતા AAPના 69 ઝોનના સહ પ્રભારી શૈલેષ મોભેરાએ જણાવ્યું કે, ગયા 25 વર્ષથી રૈયાધારનો થોડો થોડો વિકાસ થતો આવે છે,પણ વિકાસ માત્ર કાગળ પર જ છે.વિકાસ માટે આવતું ફંડ ખાઈ જવામાં આવે છે.હાલની સ્થિતિએ રોડ પર બનાવેલા બમ્પમાં દર મહિને સફેદ પટ્ટા મારવામાં આવે છે,જે લાંબો સમય રહેતા નથી. ગટરના ઢાંકણા અઠવાડિયામાં 3-3 વાર તૂટી જાય છે.આ અંગેનો વિડીયો પણ વાયરલ કર્યો હોવા છતાં આમાં કોઈને રસ નથી, અને આ જ કારણથી સરકાર ભ્રષ્ટાચાર કરી રહી છે. 'લોકો ભાજપ સામે બોલતા ગભરાય છે'શૈલેષ મોભેરાએ વધુમાં જણાવ્યું હતું કે વોર્ડ નં 1માં ચાર પૂર્વ કોર્પોરેટર, જેમાં હિરેન ખીમાણીયા,ડો. અલ્પેશ મોરજરિયા,દુર્ગાબા જાડેજા અને ભાનુબેન બાબરીયાનો સમાવેશ થાય છે.ભાનુબેન બાબરીયા છેલ્લા 5 વર્ષથી કોર્પોરેટર છે,છતાં પણ એકવાર પણ આ વિસ્તારની મુલાકાતે આવ્યા નથી.આ ઉપરાંત અન્ય ત્રણ કોર્પોરેટર પણ પોતાના વિસ્તાર સિવાય ક્યાંય જોવા મળતા નથી.વિરોધ પક્ષ તરીકે જનતા ભાજપથી ડરે છે,પણ અંદરખાને તેમનો ફૂલ વિરોધ છે.લોકો ભાજપ સામે બોલતા ગભરાય છે,કારણ કે તેને જેલમાં પૂરી દેવામાં આવશે કે ખોટા કેસો કરી દબાવવામાં આવશે તેવો ડર છે.આ જ કારણથી જનતા બહાર આવીને વિરોધ કરી શકતી નથી. ચોમાસા સમયે ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યાદિવ્યભાસ્કરની ટીમ જ્યારે રૈયાધાર વિસ્તારમાં પહોંચી ત્યારે અહીં કોઈ ગ્રામ્ય વિસ્તારમાં હોય તેવો જ માહોલ જોવા મળ્યો હતો.જોકે રોડ-રસ્તા સારા હતા પણ આ વિસ્તારમાં સ્વચ્છતાનો સદંતર અભાવ જોવા મળ્યો છે.સ્થાનિકોનાં જણાવ્યા મુજબ અહીં વારંવાર વીજળીની પણ સમસ્યા છે,ચોમાસામાં ઠેર-ઠેર પાણી ભરાઈ જતા હોવાની સમસ્યા પણ આ વિસ્તારના લોકો ઘણા લાંબા સમયથી સહન કરી રહ્યા છે.આ મામલે અનેક રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતો હોવાનું પણ લોકોએ જણાવ્યું હતું.સાથે જ તાત્કાલિક સમસ્યાઓ ઉકેલવા માટે માંગ કરી હતી. વારંવાર વીજળી ગુલ થઈ જાય છે:ભરત ચૌહાણભરત ચૌહાણ નામના સ્થાનિકે દિવ્યભાસ્કર સમક્ષ પોતાની વ્યથા રજૂ કરી કે, અમારા વિસ્તારમાં છેલ્લા એક-બે વર્ષથી વીજળી અંગે મુખ્ય સમસ્યા છે.દિવસમાં બેથી ત્રણ વખત વીજળી ગુલ થઈ જાય છે અને જ્યારે ફોન કરવામાં આવે ત્યારે 'ટ્રીપ થઈ ગયું છે' અથવા 'કનેક્શન પ્રોબ્લેમ છે'જેવા કારણો આપવામાં આવે છે.ખાસ કરીને ગયા અઠવાડિયે શનિ-રવિમાં પણ સવારે 6 વાગ્યાથી લાઈટ જતી રહી હતી,જે કલાક પછી આવીને ફરી 8 વાગ્યે જતી રહી હતી. 'કોર્પોરેટરો તો ક્યારેય મુલાકાતે આવ્યા જ નથી'અમારા વિસ્તારથી માત્ર 100-200 મીટર દૂર પોશ વિસ્તારમાં ક્યારેય લાઈટ જતી નથી અને જો જાય તો પણ એક કલાકમાં આવી જાય છે.આ બાબતે અમે પટેલ સાહેબને લેખિતમાં અરજી પણ આપી હતી,જેના કારણે બે મહિના સુધી સ્થિતિ સુધરી હતી પરંતુ હવે ફરી એ જ સમસ્યા ઊભી થઈ છે.મોબાઈલ ચાર્જિંગ, ટેલિવિઝન અને પંખા જેવી પાયાની જરૂરિયાતો વીજળી વગર પ્રભાવિત થાય છે.જોકે રોડ-રસ્તા અને સફાઈની કામગીરી ઠીક છે,પરંતુ અમારા વિસ્તારના કોર્પોરેટરો તો ક્યારેય મુલાકાતે આવ્યા નથી. ચૂંટણી સમયે કદાચ દેખાયા હશે, પરંતુ હાલ અમને તેમના નામની પણ જાણ નથી. 'બગીચો કે આરોગ્ય કેન્દ્ર માટે રજૂઆત કરી હતી'રૈયાધાર વિસ્તારમાં વર્ષોથી રહેતા લાલદાસ નામના નાગરિકે જણાવ્યું કે તેઓ છેલ્લા 30 વર્ષથી વોર્ડ નં 1ના રૈયાધાર વિસ્તારમાં રહે છે.અહીં કાયમી ધોરણે ગંદકી અને કચરાની ગંભીર સમસ્યા છે.લોકો ગમે ત્યાં કચરો ફેંકી જાય છે,જેના કારણે કચરાના ઢગલા ખડકાયેલા રહે છે. છેલ્લા 20 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં આ વિસ્તારમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી.કોર્પોરેટરો માત્ર ચૂંટણી સમયે જ મત માંગવા આવે છે,ત્યારબાદ કોઈ ડોકાતું નથી.અહીં બગીચો કે આરોગ્ય કેન્દ્ર જેવી પાયાની સુવિધાઓ આપવા માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કોઈ સંતોષકારક જવાબ મળતો નથી.આ વિસ્તારમાં અનેક સમસ્યાઓ છે,પરંતુ તંત્ર દ્વારા તેની અવગણના કરવામાં આવી રહી છે. 'કચરાના ઢગલાઓ ઘરની સામે પડ્યા રહે છે'રાહુલ મોભેરા નામના સ્થાનિકે જણાવ્યું કે, અહીં મુખ્ય સમસ્યા એ છે કે મારા ઘરની સામે કચરાના ઢગલા પડ્યા રહે છે.હમણાં માવઠું થયું ત્યારે પાણી ભરાયું હતું અને મચ્છરનો ખૂબ ત્રાસ છે.આ બાબતે મેં અરજી પણ કરી છે,પરંતુ કોઈ ધ્યાન આપતું નથી.આ ઉપરાંત,મેં 2025માં સ્ટ્રીટ લાઈટના થાંભલા માટે પણ અરજી કરી હતી,છતાં હજુ સુધી કંઈ કરવામાં આવ્યું નથી,માત્ર સર્વે કરીને જતા રહે છે. આ વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા છે,ઘણીવાર ડહોળું પાણી આવે છે.આ બધી રોજિંદી સમસ્યાઓ છે. જેનો અમારે સામનો કરવો પડે છે.સ્થાનિક કોર્પોરેટરો વિશે પૂછતા તેમણે જણાવ્યું કે,અહીંની 90 ટકા જનતા ચારેય કોર્પોરેટરોને ઓળખતી પણ નહીં હોય.કારણ કે તેઓ માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે,જેમ ચોમાસામાં કેમ દેડકા દેખાય એમ! ચૂંટણી સમયે બધાય દેખાશે. મત માંગવા આવશે,બાકી આ સિવાય કોઈપણ અહીં ડોકાતું નથી. 'કોર્પોરેટર કોણ છે એમની જાણ નથી અમને'રૈયાધાર વિસ્તારના મંજુબેને જણાવ્યું હતું કે,તેઓ છેલ્લા 20થી 22 વર્ષથી આ વિસ્તારમાં વસવાટ કરે છે. સ્થાનિક કોર્પોરેટર કોણ છે તેની પણ તેમને જાણ નથી,કારણ કે તેઓ ક્યારેય વિસ્તારની મુલાકાતે આવ્યા નથી.ચૂંટણી સમયે મત માંગવા આવતા પ્રતિનિધિઓ જીત્યા પછી ડોકાતા પણ નથી.આ તમામ સમસ્યાઓ અંગે તંત્રને રજૂઆત કરવામાં આવી છે,પરંતુ હજુ સુધી કોઈપણ જવાબ મળ્યો નથી કે કોઈ અધિકારી તપાસ કરવા પણ આવ્યા નથી. 'નેતાઓ પ્રજાની તકલીફો જાણવા આવતા નથી'રૈયાધાર વિસ્તારનાં વેપારીઓમાં પણ રોષની લાગણી જોવા મળી હતી.દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં વેપારી અજયભાઈએ જણાવ્યું કે, છેલ્લા 2 વર્ષથી દુકાન ચલાવી રહ્યો છું. અહીં રોડ રસ્તાની સ્થિતિ અત્યંત ગંભીર છે.છેલ્લા 2થી 3 વર્ષથી આવી જ પરિસ્થિતિ હોવા છતાં સ્થાનિક 4 કોર્પોરેટરોમાંથી કોઈ અહીં ડોકાતું પણ નથી.નેતાઓ માત્ર ચૂંટણી વખતે જ મત લેવા આવે છે અને ત્યારબાદ કોઈ કામગીરી થતી નથી.શાસક પક્ષ ભાજપનું શાસન હોવા છતાં કોઈ નેતા પ્રજાની તકલીફો જાણવા આવતા નથી તેવી વેદના પણ તેમણે વ્યક્ત કરી હતી. કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી વેપારીઓમાં રોષઆ વિસ્તારમાં છેલ્લા 14થી 15 વર્ષથી વેપાર કરતા પ્રવીણભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે,આ વિસ્તારમાં મુખ્ય સમસ્યા કચરાના નિકાલની છે,જેના કારણે અન્ય ઘણી નાની-મોટી તકલીફો ઊભી થાય છે.સ્થાનિક કોર્પોરેટરોની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવતા તેમણે જણાવ્યું હતું કે,જે રીતે પત્રકારો રૂબરૂ આવીને પ્રશ્નો પૂછે છે તે રીતે કોઈ જનપ્રતિનિધિ ક્યારેય આ વિસ્તારની મુલાકાત લેતા નથી.તંત્ર દ્વારા આ વિસ્તારમાં વ્યવસ્થિત સાફ-સફાઈ કરવામાં આવે અને લોકહિતના કામો પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવામાં આવે તેવી વેપારીઓની મુખ્ય માંગ છે. અહીં દુકાન ધરાવતા ચંદ્રકાંતભાઈએ જણાવ્યું કે,તેઓ છેલ્લા 20 વર્ષથી અહીં વેપાર કરી રહ્યા છે પીવાના પાણીની પણ સમસ્યા અને રોડ-રસ્તાનું કામ પણ હજુ અડધું બાકી છે. સાફ-સફાઈ માટે સફાઈ કામદારો આવે છે પરંતુ કચરો ઉપાડવામાં આવતો નથી.અહીંના કોર્પોરેટર કોણ છે તેની તેમને જાણ નથી અને ચૂંટણી સમયે મત માંગવા સિવાય કોઈ દેખાતું નથી. પોશ વિસ્તારમાં પણ પ્રાથમિક સુવિધાનો અભાવરૈયાધાર બાદ દિવ્યભાસ્કરની ટીમ પોશ વિસ્તાર ગણાતા આલાપ ગ્રીનસિટી પહોંચી હતી.જ્યાં અનેક સોસાયટીમાં રોડ-રસ્તા તેમજ ડ્રેનેજની સમસ્યા હોવાનું સામે આવ્યું હતું. તેમજ સફાઈ પણ નિયમિત નહીં થતી હોવાનો આક્રોશ સ્થાનિકોએ ઠાલવ્યો હતો.મોટાભાગના લોકોએ જણાવ્યું હતું કે,તેઓ ભાજપને મત આપે છે,વેરાઓ પણ ભરે છે.આમ છતાં વર્ષોથી તેમના પ્રશ્નો હલ થતા નથી.ચૂંટણી જીત્યા બાદ નગરસેવકો ડોકાયા નહીં હોવાનું જણાવી આયાતીના બદલે સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવા માંગ પણ લોકોએ કરી હતી. સ્થાનિકને ટિકિટ આપવામાં આને:પુષ્પાબેન યાજ્ઞિકશાંતિનિકેતનમાં રહેતા પુષ્પાબેન યાજ્ઞિકે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ગંદકી અને મચ્છરોનો ખૂબ જ ઉપદ્રવ છે.અહીં પરિવહન માટે બસની સુવિધાનો અભાવ હોવાથી લોકોને દરેક સ્થળે ચાલીને જવું પડે છે.ચૂંટણી સમયે નેતાઓ મીટિંગો યોજે છે,પરંતુ જીત્યા પછી 5 વર્ષ સુધી કોઈ ડોકાતું નથી.જેના કારણે સોસાયટીમાં વિકાસના કામો થતા નથી.હાલમાં સોસાયટીના સભ્યો અને મહિલા મંડળ દ્વારા જ જરૂરી કામગીરી કરવામાં આવે છે.તંત્ર તરફથી કોઈ સહાય મળતી નથી.આથી તેઓ માંગ કરી રહ્યા છે કે જો આ વિસ્તારના જ કોઈ સ્થાનિક વ્યક્તિને ટિકિટ આપવામાં આવે,તો જ અમારા પ્રશ્નોનું નિરાકરણ આવી શકે તેમ છે. બંસી પાર્ક વિસ્તારમાં રહેતા નેહાબેને જણાવ્યું હતું કે, અહીં ગટરની વ્યવસ્થા ન હોવાથી રસ્તાઓ પર ગંદુ પાણી ભરાઈ રહે છે,જેના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ નેતાઓ મતો માંગવા આવે છે,પરંતુ જીત્યા પછી કોઈ પ્રશ્નો ઉકેલવા આવતું નથી.તેમણે પણ માંગ કરી છે કે જો આગામી ચૂંટણીમાં કોઈ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તો જ આ વિસ્તારનો વિકાસ શક્ય છે. સ્થાનિક નિશાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, ચોમાસામાં કાદવ-કીચડને કારણે વાહનો સ્લિપ થવાના બનાવો બને છે અને સ્થાનિકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડે છે.જો વહેલી તકે આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં વિરોધ પ્રદર્શન કરવાની પણ તેમણે તૈયારી દર્શાવી છે. 'પ્રચાર માટે કોઈએ આવવું નહીં તેવા બોર્ડ લગાવવાનો નિર્ણય'કલ્યાણ પાર્ક વિસ્તારના ગીતાબા ચુડાસમાએ જણાવ્યું હતું કે,અહીં નાના બાળકો માટે કોઈ આંગણવાડી જેવી સુવિધા નથી.વિસ્તારમાં સાફ-સફાઈના અભાવે મચ્છરોનો ભારે ત્રાસ છે અને પાણી ભરાવાની સમસ્યાનો કોઈ યોગ્ય નિકાલ લાવવામાં આવ્યો નથી.આ વિસ્તારમાં પોતાના બોર્ડ લગાવનારા સ્થાનિક કોર્પોરેટર હિરેન ખીમાણીયાએ ક્યારેય આ વિસ્તારની મુલાકાત લીધી નથી કે લોકોની સમસ્યાઓ સાંભળી નથી.આથી કંટાળીને સોસાયટીના રહીશોએ આ વખતે ચૂંટણીમાં મતદાન ન કરવાનો અને ચૂંટણી પ્રચાર માટે કોઈને આવવા નહીં દેવા માટેના બોર્ડ મારવાનો નિર્ણય લીધો છે. મધુબેન પરમારે જણાવ્યું હતું કે, હાલમાં ગટરનું કામ છેલ્લા 3 મહિનાથી ચાલુ છે પણ તે અધૂરું મૂકી દેવામાં આવ્યું છે.પાણી ભરાવાની સમસ્યા હલ ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે વહેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ લાવવા અમારી માંગ છે. પાર્વતીબેન પાનસુરીયાએ જણાવ્યું હતું કે, પીવાના પાણીની ગંભીર સમસ્યા છે અને બોરના પાણી પણ દૂષિત આવે છે. છેલ્લા 5 વર્ષથી સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવી રહી છે,પરંતુ મનપાનાં કર્મચારીઓ માત્ર મુલાકાત લઈને આશ્વાસન આપી જાય છે અને કોઈ નક્કર કામગીરી થતી નથી.ગ્રાન્ટ મંજૂર થઈ હોવાની વાતો વચ્ચે પણ જમીન પર કોઈ સુધારો દેખાતો નથી. 'અધિકારીઓ માત્ર આશ્વાસન આપે'પ્રફુલભાઈ જોષીએ વિસ્તારની કથળતી જતી હાલત અંગે રોષ ઠાલવ્યો હતો.તેમના જણાવ્યા અનુસાર,છેલ્લા 5-6 વર્ષથી આ વિસ્તારમાં સમસ્યાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. 5 વર્ષ પહેલા મેટલિંગનું કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં અને ડામર રોડ મંજૂર થઈ ગયો હોવા છતાં હજુ સુધી રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી નથી.બંસી પાર્ક વિસ્તારમાં 50% થી વધુ બિલ્ડિંગો બની ગઈ હોવા છતાં, અહીં સફાઈ કર્મચારીઓ કે ડ્રેનેજની કોઈ જ સુવિધા ઉપલબ્ધ નથી. વધુમાં તેમણે જણાવ્યું કે, સ્થાનિક કોર્પોરેટર ખીમાણીયાભાઈ અને અન્ય અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં માત્ર આશ્વાસનો જ મળે છે.ફોન કરવા પર કોઈ જવાબ મળતો નથી અને ઓફિસે જઈએ તો પણ મુલાકાત શક્ય બનતી નથી.ત્યારે વહેલી તકે ડ્રેનેજ લાઈન અને ડામર રોડની સુવિધા પૂરી પાડવામાં આવે જેથી આટલા વર્ષોથી ચાલતી મુશ્કેલીઓનો અંત આવે. મનપામાં નવા ભળેલા વિસ્તારોના લોકોને હાલાકીજે બાદ દિવ્ય ભાસ્કરની ટીમ ઘંટેશ્વર નજીક પહોંચી હતી. જ્યાં પણ કલ્યાણ પાર્ક સહિતનાં નવા ભળેલા વિસ્તારોનાં લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા આ વિસ્તારના લોકોએ તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની સાથે 'કોઈ નેતાએ પ્રચારમાં આવવું નહીં'તેવા બેનરો લગાવવાની તૈયારી દર્શાવી છે. ભાજપના પૂર્વ કોર્પોરેટરના સબ સલામતના દાવાભાજપના પૂર્વ કોર્પોરેટર અલ્પેશ મોરજરીયાએ 5 વર્ષના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલા વિકાસલક્ષી કાર્યોની વિગતો આપી હતી. વોર્ડમાં તમામ રોડ-રસ્તાઓનું રિ-કાર્પેટિંગનું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ કરી દેવામાં આવ્યું હોવાની અલ્પેશ મોરજરીયાએ વાત કરી હતી. જ્યારે મધ્યમ વર્ગના પરિવારોને સામાજિક પ્રસંગોમાં સુવિધા મળી રહે તે માટે સંતોષ પાર્ક વિસ્તારમાં એક અદ્યતન હોલ બનાવીને તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નવી DI પાઇપલાઇન નાખવાનું કામ મંજૂરઆ ઉપરાંત અગાઉની નાની વોર્ડ ઓફિસને કારણે લોકોને પડતી હાલાકી દૂર કરવા માટે નવી વોર્ડ ઓફિસનું કામ પણ મંજૂર કરાવ્યું છે જે ટૂંક સમયમાં શરૂ થશે.ગાંધીગ્રામ જેવા જૂના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાના કાયમી નિકાલ માટે 3 મુખ્ય જગ્યાઓ પર સ્ટ્રોમ વોટર લાઈન નાખવામાં આવી છે. જેના કારણે છેલ્લા 2 વર્ષથી આ સમસ્યામાં મોટો ઘટાડો થયો છે.ગાંધીગ્રામમાં જૂના નેટવર્કને કારણે આવતા ગંદા પાણીની ફરિયાદના ઉકેલ માટે ચારેય કોર્પોરેટરોની રજૂઆત બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર વિસ્તારમાં નવી DI પાઇપલાઇન નાખવાનું કામ મંજૂર કરાયું છે અને આ પ્રોજેક્ટનું કામ 1થી 2 મહિનામાં શરૂ કરવામાં આવશે. વધુમાં અલ્પેશ મોરજરીયાએ નવા ભળેલા વિસ્તારો વિશે જણાવ્યું હતું કે લોકોને આપેલા વચન મુજબ આ વિસ્તારોમાં પાણી અને ડ્રેનેજની સુવિધા આપવામાં સફળતા મળી છે. રોડ રસ્તાના કામો અંગે તેમણે ઉમેર્યું હતું કે આ વિસ્તારોમાં મેટલ રોડ પાસ થઈ ગયા છે અને નાગેશ્વર વિસ્તારમાં ડામર રોડનું કામ આગામી 3 મહિનામાં પૂર્ણ થઈ જશે. આગામી સમયમાં પેવિંગ બ્લોકના કામો પૂર્ણ કરીને આ વિસ્તારને ડસ્ટ ફ્રી બનાવવાનું અમારું લક્ષ્ય છે.રૈયા ગામના વિકાસ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે 85 ટકા રૈયા ગામમાં બ્લોક નાખવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.અમુક સૂચિત વિસ્તારોમાં ટેકનિકલ કારણોસર અને ગ્રામ્ય વિસ્તારના રોડ ટી.પી. સ્કીમમાં ન હોવાને કારણે કે અમુક જગ્યાએ વ્યક્તિગત દાવાઓના લીધે કામગીરી અટકી હતી. પરંતુ બાકીના મોટાભાગના વિસ્તારમાં પાયાની સુવિધાઓ પહોંચાડી દેવામાં આવી છે. લોકો હવે પરિવર્તન ઈચ્છી રહ્યા છે:કોંગ્રેસ આગેવાનવોર્ડ નંબર 1ના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રમેશ જુંજાએ જણાવ્યું હતું કે,વોર્ડ નંબર 1ના વિસ્તારોમાં સમસ્યાઓનો અંબાર છે,પરંતુ છેલ્લા 5 વર્ષમાં સ્થાનિક કોર્પોરેટરો ક્યાંય દેખાયા નથી.જેના કારણે લોકો હવે પરિવર્તન ઈચ્છી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું કે,વોર્ડમાં મુખ્યત્વે રોડ-રસ્તા અને સફાઈ સહિતની ગંભીર સમસ્યાઓ છે. હાલમાં હિરેન ખીમાણીયા અને દુર્ગાબા જાડેજા જેવા કોર્પોરેટરો છે, પરંતુ જનતા તેમને ઓળખતી પણ નથી.લોકોની માંગ છે કે સ્થાનિક અને સક્રિય પ્રતિનિધિ હોય જે ખરેખર કામ કરે.આયાતી કે બહારના ઉમેદવારોના કારણે વિકાસના કામોમાં અવરોધ આવતો હોય તેમ લાગી રહ્યું છે. બાળકો માટે આંગણવાડીની સુવિધા નથી:AAP ઉમેદવાર ગૌરીબેનવોર્ડ નંબર 1માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગૌરીબેન પાણખણીયાએ જણાવ્યું હતું કે, જ્યારે તેઓ ગ્રાઉન્ડ લેવલ પર લોકોની વચ્ચે જાય છે,ત્યારે લોકો પાયાની સુવિધાઓના અભાવે ખૂબ જ પરેશાન જોવા મળે છે.લોકોની મુખ્ય ફરિયાદોમાં ગટરની સુવિધાનો અભાવ,ખરાબ રોડ-રસ્તા અને સફાઈ કામદારોનું નિયમિત ન આવવું જેવી સમસ્યાઓ છે. વધુમાં તેમણે આક્ષેપ કર્યો કે લોકો તેમના વિસ્તારના કોર્પોરેટરોને પણ ઓળખતા નથી.દૂર્ગાબા જાડેજા અને હિરેન ખીમાણીયા જેવા કોર્પોરેટરોએ ક્યારેય મુલાકાત લીધી નથી કે લોકોના પ્રશ્નો સાંભળ્યા નથી.તુલસીપત્ર જેવા વિસ્તારોમાં ગંદકીનું પ્રમાણ ખૂબ જ વધારે છે અને ત્યાં 200થી વધુ બાળકો માટે આંગણવાડીની પણ કોઈ સુવિધા નથી.લોકો વર્તમાન પરિસ્થિતિથી ત્રાહિમામ પોકારી ગયા છે અને પરિવર્તન ઈચ્છી રહ્યા છે.જો આમ આદમી પાર્ટીની સત્તા પર આવશે,તો આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની તેમણે ખાતરી આપી હતી. રોડ-રસ્તાના કામને પ્રાથમિકતા આપીશું:વાલજી કણઝારિયાઆમ આદમી પાર્ટીના બીજા એક ઉમેદવાર વાલજી કણઝારિયાએ જણાવ્યું કે ગાંધીગ્રામથી પરા પીપળીયા સુધીના આ વિસ્તારમાં અનેક પાયાની સમસ્યાઓ છે,જે વર્ષોથી વણઉકેલ છે.ગાંધીગ્રામ અને એરપોર્ટની આસપાસની સોસાયટીઓમાં છેલ્લા 20 વર્ષથી ગંદા પાણીની સમસ્યા છે અને ગટર લાઇન ચોકઅપ થવાની ઘટનાઓ પણ વારંવાર બને છે.મારુતિનગર અને પરા પીપળીયામાં આવેલી ઈન્દિરા આવાસ યોજનાના ક્વાર્ટર્સમાં 15 વર્ષથી રોડ અને ગટરની કોઈ સુવિધા આપવામાં આવી નથી. ચૂંટાયેલા પ્રતિનિધિઓ જનતાના પ્રશ્નો સાંભળવા આવતા ન હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો તેઓ આ ચૂંટણીમાં વિજેતા બનશે તો જનતાની પાયાની જરૂરિયાતો અને સુવિધાઓ પૂરી પાડ્યા બાદ રોડ-રસ્તા સહિતના વિકાસના કામોને પ્રાથમિકતા આપશે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
જ્યારે પાણીની ટાંકી ઉપયોગમાં લેવાતા પહેલાં જ તૂટી પડે… કે પછી બ્રિજની હાસ્યાસ્પદ ડિઝાઇનના ફોટા તેમજ વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા થાય ત્યારે જ સરકારી કામની પોલમપોલ ચર્ચામાં આવે છે. આ તો લોકોની નજરે ચડે એવા કામ છે. પણ દિવ્ય ભાસ્કરના આજના ઇન્વેસ્ટિગેશન રિપોર્ટમાં વાંચો સામાન્ય લોકોની નજરે ન ચડે એવા સરકારી કામોના કોન્ટ્રાક્ટમાં થતી ગેરરીતિ અને અધિકારીઓની લાલિયાવાડીની બ્લૂપ્રિન્ટના પર્દાફાશ વિશે. આ કૌભાંડમાં કોન્ટ્રાક્ટ લેનાર એજન્સી એક ઇંટ પણ મૂકતી નથી અને લાખો-કરોડો રૂપિયાની કમાણી કરી લે છે. લોકોએ ટેક્સ પેટે આપેલા કરોડો રૂપિયાનો બગાડ કરવામાં કોણ અને કોણ રીતે સામેલ છે એ સમજો. રોડ, ગટર, બિલ્ડિંગ જેવા કોઈપણ સરકારી પ્રોજેક્ટ માટે સૌથી પહેલું કામ PMC એટલે કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ અથવા તો પ્રોજેક્ટ મેપિંગ કંપનીનું હોય છે. જેમ કે કોઈ જગ્યાને ગટરલાઇન નાખવાની હોય તો પાઇપ કેટલી સાઇઝની નાખવી, તેની ડિઝાઇન કેવી હોવી જોઈએ, કેવા પ્રકારનું મટિરિયલ વાપરવાનું થશે, આ બધુ નક્કી કરવાનું કામ PMCનું હોય. જ્યારે સરકારી કામકાજમાં સૌથી છેલ્લો રોલ આવે છે TPIનો. એટલે કે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર કોન્ટ્રાક્ટ એજન્સી. જેમાં કોન્ટ્રાક્ટ લેનારી એજન્સીએ કેવું કામ કર્યું છે એ ચકાસવાની જવાબદારી થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર એજન્સીનું હોય. આ બન્ને કામ એવા છે જેમાં ઓછી હરીફાઇ, સામાન્ય માણસની સીધી નજરમાં ન આવે અને કરોડો રૂપિયા કમાવી શકાય. દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં આવી જ એજન્સીઓનો પર્દાફાશ થયો, જેના પર નગરપાલિકાના પદાધિકારીઓથી લઈને ગાંધીનગરમાં બેસેલા અધિકારીઓ મહેરબાન હોય એમ લાગે છે. અમારા ધ્યાને “ડિઝાઇન પોઇન્ટ” નામની એક કોન્ટ્રાક્ટ એજન્સી આવી. જેને વર્ષોથી સૌરાષ્ટ્રમાં દામનગર, લાઠી, ધારી જેવી ઘણી બધી નગરપાલિકાઓમાં વટથી કોન્ટ્રાક્ટ મળે છે. પહોંચ તો એવી કે કોઈ બીજાને કોન્ટ્રાક્ટ મળી જાય તો પણ યેનકેન પ્રકારે આ જ એજન્સીને લાભ મળે. આ વાતના પુરાવા પણ મળ્યા. 3 ફેબ્રુઆરી, 2017ના રોજ માર્ગ અને મકાન વિભાગે એક પરિપત્ર બહાર પાડ્યો હતો. આ પરિપત્ર મુજબ 7 કરોડથી ઓછા રૂપિયાના પ્રોજેક્ટ માટે PQ એટલે કે પ્રિક્વોલિફિકેશન જરૂરી નથી. સરળ રીતે સમજીએ તો એવી શરતો જેમ કે, 100 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતી કંપનીએ જ ટેન્ડરમાં ભાગ લેવો. આવી કોઈ શરતની મનાઈ હતી. તેમ છતાં આ નિયમની અવગણના કરવામાં આવી. દામનગર નગરપાલિકાએ 2021ના વર્ષમાં ટેન્ડરમાં થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન માટે એક ટેન્ડર બહાર પાડ્યું, જે ટેન્ડર 7 કરોડથી ઓછી રકમનું હતું. તેમ છતાં નગરપાલિકાએ એવી શરતો રાખી જેના કારણે બીજી નાની એજન્સીઓ ટેન્ડરમાં ભાગ ન લઈ શકી. પરિણામ કદાચ જાણે ધાર્યા પ્રમાણે જ આવ્યું હોય એમ આ કામ પણ ડિઝાઈન પોઈન્ટને મળી ગયું. વાત માત્ર નવા કોન્ટ્રાક્ટ મેળવવાની નથી. જો અન્ય કોઈ એજન્સી અધવચ્ચે કામ છોડી દે તો પણ ડિઝાઇન પોઇન્ટને ચાંદી-ચાંદી થઈ જાય છે. કારણ કે જૂની એજન્સીએ મેળવેલા કોન્ટ્રાક્ટના ભાવ કરતા વધારે કિંમતે ડિઝાઇન પોઇન્ટને કામ આપી દેવાયું અને નગરપાલિકા તેને મંજૂર પણ કરે છે. આવો જ દાખલો ભાવનગર ઝોન હેઠળ આવતી નગરપાલિકાઓનો છે. જેમ કે ભાવનગર ઝોન હેઠળ આવતી નગરપાલિકાઓમાં 1.71%માં કામ કરવા માટે ગ્રેવિટાસ કંપનીને વર્કઓર્ડર મળ્યો હતો. પરંતુ ગ્રેવિટાસે થોડા સમય પછી કામ છોડી દીધું. તો બાબરા નગરપાલિકામાં આ જ કામ ડિઝાઇન પોઈન્ટે 2.60%માં રાખ્યું. જે બજારમાં ચાલતા ભાવ કરતા લગભગ બમણા હતા. ખાનગી કંપનીઓ જ નહીં સરકારી કંપની કરતા પણ ડિઝાઇન પોઇન્ટનું કામ સરકારી અધિકારીઓને સવાયુ લાગતું હોવાનો જીવતો જાગતો પુરાવો છે. વાપકોસ એટલે કે વોટર એન્ડ પાવર કન્સલ્ટન્સી સર્વિસિસ, જે ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય હેઠળ કાર્યરત એક અગ્રણી ટેકનિકલ કન્સલ્ટન્સી સંસ્થા છે. ગુજરાત સરકારના મોટા પ્રોજેક્ટ્સમાં તે એક મુખ્ય સલાહકાર તરીકે કામ કરે છે. તે પ્રોજેક્ટના પ્લાનિંગથી લઈને તેના અમલીકરણ સુધીની દેખરેખ રાખે છે. જાણકારોના મતે આમ તો વાપકોસને કામ આપવા સરકારે ટેન્ડર બહાર પાડવાની જરૂર નથી. તેઓ સીધી રીતે કામ સોંપી શકાય છે. તેમ છતાં 2022માં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશને (GUDM) ટેન્ડર દ્વારા ગાંધીનગર અને રાજકોટમાં મિશન અમૃત 2.Oનું કામ વાપકોસને સોંપ્યું. 29 ઓક્ટોબર, 2022ના રોજ વાપકોસને કામ કરવાનો પરવાનો મળી ગયો. પણ થોડા જ સમયમાં અસલી ખેલ શરૂ થયો વાપકોસે કહ્યું કે અમે આ કામ નહીં કરીએ. એટલે 29 એપ્રિલ, 2023ના રોજ ફરી એકવાર GUDMએ નવી એજન્સીની શોધ આદરી અને આખરે યેનકેન પ્રકારે આ કામ ડિઝાઇન પોઈન્ટને મળી ગયું. 7 નવેમ્બર, 2019ના રોજ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનના ધ્યાને ડિઝાઇન પોઇન્ટની કામમાં ગુણવત્તા બાબતની ગેરરીતિ આવી. એટલે આકરા પગલાં લઈને ડિઝાઇન પોઈન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો. આ નિર્ણય સામે ડિઝાઇન પોઈન્ટ હાઈકોર્ટમાં ગઈ. 14 નવેમ્બર, 2019ના રોજ હાઈકોર્ટે કહ્યું કે પ્રતિબંધ યોગ્ય છે કે નહીં તે અંગે નિર્ણય ન આવે ત્યાં સુધી ડિઝાઇન પોઈન્ટ કામ કરી શકશે. આ કેસ થયાને 6 વર્ષ થયા છે. ત્યારથી માંડીને આજદિન સુધી આ કેસમાં એકપણ વખત સુનાવણી થઈ નથી. આશ્ચર્યની વાત એ છે કે જાણે GUDMને પણ જાણે આ કેસમાં રસ ન હોય એમ સુનાવણી માટે અપીલ કરી નથી. બીજી તરફ ડિઝાઇન પોઈન્ટને કોન્ટ્રાક્ટ મળતા જાય છે અને રૂપિયા ચૂકવાતા જઈ રહ્યા છે. એક અરજદારે 28 જૂન, 2025માં RTI મારફતે લાઠી નગરપાલિકાને અરજી કરી અને લાઠી નગરપાલિકા માટે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે કન્સલ્ટન્ટ કામ કરતી એજન્સીની વિગતો માગી. જેમાં લાઠી નગરપાલિકાએ 2011નો એક પરિપત્ર જોડી સોહમ કન્સલ્ટન્ટ સર્વિસ કામ કરતી હોવાનું જણાવ્યું હતું. એટલે કે 2011થી માંડીને 2025 સુધી સોહમ કન્સલ્ટન્ટ સર્વિસ સિવાય અન્ય કોઈને કોન્ટ્રાક્ટ આપ્યો ન હોવાનું નગરપાલિકાના જવાબથી માલુમ પડે છે. પરંતુ 2019માં GUDMએ ગાંધીનગરથી પરિપત્ર કરી DPRમાં ખામી આવતા લાઠી નગરપાલિકામાં ડિઝાઇન પોઈન્ટને કામ રોકવા પરિપત્ર કર્યો હતો. હવે સવાલ એ છે કે RTIમાં નગરપાલિકાએ આપેલા જવાબ મુજબ ત્યાં સોહમ કન્સલટન્ટ કામ કરે છે તો પછી ડિઝાઇન પોઈન્ટે કેવી રીતે કામ કર્યું? જો ટેન્ડર અપાયું હતું તો RTIમાં લાઠી નગરપાલિકાએ કેમ માહિતી ન આપી? આ અંગે સરકારને રજૂઆત કરનાર RTI એક્ટિવિસ્ટ નિલેશ ગરેણિયા સાથે પણ વાતચીત કરી. તેમના જણાવ્યા પ્રમાણે 20-30 વર્ષ કે તેથી વધુ સમય સુધીની જરૂરીયાતોને ધ્યાને લઈને ડિઝાઇન સહિતનો રિપોર્ટ આવી એજન્સીઓએ બનાવવાનો હોય છે. તેના આધારે જે તે પ્રોજેક્ટની કિંમત, સમયસીમા નક્કી કરીને ટેન્ડર બહાર પાડવામાં આવે છે. ટેન્ડર મેળવનાર કંપની પર પણ આ એજન્સીઓ નજર રાખે છે. ટેન્ડરની શરતોનું યોગ્ય પાલન થાય છે કે નહીં, ક્વોલિટી જળવાય છે કે નહીં એ જોવાનું હોય છે. ત્યાર બાદ આ કામોનું બિલ બનાવીને નગરપાલિકામાં જમા કરવાનું હોય છે. નિલેશ ગરણીયાના જણાવ્યા પ્રમાણે આવી એજન્સીઓને જે તે પ્રોજેક્ટની ટકાવારીના અનુસંધાને પેમેન્ટ આપવામાં આવે છે. સામાન્ય રીતે નગરપાલિકાઓ સાથે તેમના દરેક કામને મેનેજ કરવાના પ્રોજેક્ટની કિંમતના 1.10 ટકાથી લઈને 1.60 ટકા સુધીની કિંમત વસૂલતી હોય છે. જેમ કે એક કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ હોય તો એજન્સીને ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ કે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનના કામ માટે 1 લાખ 60 હજાર રૂપિયા મળે. આ રકમ કદાચ નાની લાગતી હોય પણ ગુજરાતની નાનામાં નાની નગરપાલિકામાં પણ વર્ષે ઓછામાં ઓછા દસ કરોડના કામ તો થતા જ હશે. જ્યારે મોટી નગરપાલિકાઓમાં તો દર વર્ષે 100 કરોડ ઉપરાંતના વિકાસકાર્યો થાય છે. ડિઝાઇન પોઇન્ટ એજન્સી અત્યાર સુધી એક નહીં અનેક નગરપાલિકાઓમાં કામ કરી ચૂકી છે. એટલે તેને મળેલા કામોનો આંકડો કેટલો મોટો હોઈ શકે તેનો અંદાજ લગાવી શકાય તેમ છે. નિલેશભાઈ GUDM પર ગંભીર આક્ષેપો લગાવતા કહે છે સરકારને આધીન સંસ્થા એવી વાપકોસ નહીં નફો, નહીં નુકસાનના ધોરણે કામ કરે છે. પરંતુ વાપકોસને સરખી રીતે કામ દેવામાં નથી આવતું. આ પ્રકારની ગેરરીતિઓમાં કેટલાક લોકોને GUDMએ સીધો સપોર્ટ કરવાનું કામ કર્યું છે. આ પ્રકારની સંસ્થામાં સીધી ગેરરીતિઓ જ થાય છે. નિલેશભાઈ કહે છે કે રાજકીય પીઠબળ વગર ડિઝાઇન પોઇન્ટને આટલા બધા કોન્ટ્રાક્ટ મળવા અને હજુ પણ કોઈ કાર્યવાહી ન થવી એ શક્ય નથી. અમે નગરપાલિકાના કામોમાં થયેલી ગેરરીતિ અંગે તપાસ કરવા માટે દામનગર અને લાઠી પહોંચ્યા. અમને જાણવા મળ્યું કે દામનગરના ચીફ ઓફિસરને લાઠીનો ચાર્જ પણ આપવામાં આવ્યો છે, તેઓ આજે લાઠીમાં છે. આમ, લાઠીમાં અમારી મુલાકાત નગરપાલિકાના ચીફ ઓફિસર વિજયભાઈ ડેર સાથે થઈ. ગેરરીતિ મુદ્દે પૂછેલા સવાલ અંગે તેમણે કહ્યું કે, મને આ વિશે વધારે ખબર નથી પરંતુ મને થોડો સમય આપો હું તપાસ કરાવી આપને માહિતી આપું છું. થોડા કલાકો પછી ટેલિફોનિક વાતચીતમાં ચીફ ઓફિસરે કહ્યું, તમારે અમારો જવાબ લેવા માટે લેખિતમાં તમારા પ્રશ્ન મોકલવો પડશે. આ પછી અમે તેમને લેખિતમાં સવાલો મોકલી આપ્યા. ચીફ ઓફિસરને અમે પૂછ્યું કે દામનગર નગરપાલિકામાં 2021માં TPI માટે ટેન્ડર બહાર પાડ્યું હતું. જે 7 કરોડથી ઓછી કિંમતનું હતું. માર્ગ અને મકાનવિભાગના પરિપત્ર મુજબ 7 કરોડથી ઓછી કિંમતના ટેન્ડર માટે પ્રિ-ક્વોલિફિકેશન જરૂરી નથી. તેમ થતા આ ટેન્ડરમાં પરિપત્રની કેમ અવગણના કરવામાં આવી? અને આ સાથે 2021થી 2026 સુધી ડિઝાઇન પોઈન્ટને મળેલા કામોની વિગત આપો? તેમને કરેલા ચૂકવણાની પણ વિગત આપો. ચીફ ઓફિસર વિજયભાઈ ડેરે લેખિત તો આપ્યો પરંતુ આ જવાબ સંતોષકારક ન હતો. નગરપાલિકાએ નિયમોની અસ્પષ્ટતાનો પૂરો લાભ ઉઠાવ્યો હોય એમ લાગે છે. તેમણે જવાબમાં લખ્યું, આ પરિપત્ર માર્ગ અને મકાન વિભાગનો છે જે TPIના કામોને લાગુ પડતો નથી કારણ કે તે કન્સ્ટ્રકશન વર્ક નથી. TPIનું છેલ્લું ટેન્ડર 2025માં બહાર પાડવામાં આવ્યું હતું જે દિશા એન્જિનિયરિંગને મળ્યું હતું. જ્યારે દામનગરમાં ડિઝાઇન પોઈન્ટ PMCની કામગીરી કરે છે. જો કે જાણકારોના મતે જ્યારે મોટાભાગના કિસ્સામાં TPIના કામોમાં માર્ગ મકાન વિભાગ અને પાણી પુરવઠા વિભાગના પરિપત્રનું પાલન થતું હોય છે. ચીફ ઓફિસરના જવાબમાં સ્પષ્ટતા ન હતી એટલે અમે સવાલો અને શંકાના ઘેરામાં આવેલી ડિઝાઇન પોઇન્ટની ઓફિસે પહોંચ્યા. અમરેલીની બજારમાં એક કોમ્પ્લેક્સમાં આવેલી 3 દુકાનોવાળી આ ઓફિસ બંધ હાલતમાં જોવા મળી. ડિઝાઇન પોઇન્ટના સર્વેસર્વા ગણાતા હિમાંશુ ધાનાણી સાથે રૂબરુ મુલાકાત તો ન થઈ શકી. પરંતુ તેમની સાથે ટેલિફોનિક વાતચીત થઈ. જેમાં નીચે મુજબના સવાલ-જવાબ ચર્ચાયા. દિવ્ય ભાસ્કર- કઈ કઈ નગરપાલિકાઓમાં તમારું કામ ચાલુ છે?હિમાંશુ ધાનાણી- ઘણી બધી નગરપાલિકામાં કામ ચાલું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક ઝોનની નગરપાલિકામાં કામ ચાલુ છે. દિવ્ય ભાસ્કર- યેનકેન પ્રકારે ગોઠવણ કરી તમને જ કોન્ટ્રાક્ટ મળે તેવી સિસ્ટમ ગોઠવવામાં આવી છે. આ આરોપ પર શું કહેશો?હિમાંશુ ધાનાણી- આવું બિલકુલ નથી. હું 1992થી આ ક્ષેત્રમાં કામ કરું છું. સેટિંગ કે એવું કંઈ નથી. હું ફી સિવાય અન્ય કોઈ બાબતમાં પડતો નથી. મારા વિરુદ્ધની ઘણી બધી વાતો થતી હોય છે. મારા ભાઈ અને સંતાનો વિદેશમાં છે. હું મારી પત્ની અને મારા બા એમ અમે ત્રણ જણા રહીએ છીએ અને એ પૂરતું હું કમાઉં છું. દિવ્ય ભાસ્કર- 2020માં ડિઝાઇન પોઈન્ટને GUDMએ પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પાછળનું કારણ શું હતું?હિમાંશુ ધાનાણી- એ કિસ્સામાં અમે સાચુ કહેવા ગયા અને ભોગ બન્યા હતા. તે સમયમાં ટેન્ડરને લઈ અમને ધ્યાન આવ્યું કે, જે તે કંપનીએ ટેન્ડરમાં આપેલા કાગળિયા ખોટા છે. પછી અમે અધિકારીઓને જાણ કરી. એટલે તેમણે કહ્યું કે, આપણે દરેક એજન્સીના કાગળો ચેક કરીએ. એટલે બીજી બે-ત્રણ એજન્સીના કાગળો પણ ખોટા નીકળ્યા. આ પછી તેમને લાગ્યું કે આ તો ઘણું મોટું થશે એટલે અધિકારીઓને અમારી જ કંપની પર પ્રતિબંધ લગાવી દીધો. આ નિર્ણયની સામે અમે કોર્ટમાં ગયા અને સરકારનું ધ્યાન દોર્યું. દિવ્ય ભાસ્કર- આ કેસ કોર્ટમાં કેમ આ આગળ નથી વધી રહ્યો?હિમાંશુ ધાનાણી- કોર્ટમાં શું કાર્યવાહી થતી હોય તેની મને કોઈ જાણ નથી. દિવ્ય ભાસ્કર- દામનગર નગરપાલિકામાં નિયમોની વિરુદ્ધ જઈને શરતો રાખીને જૂજ કંપનીઓ જ ટેન્ડરમાં ભાગ લઈ શકે તેવી ગોઠવણ થઈ?હિમાંશુ ધાનાણી- મારું કામ ટેન્ડર બનાવવાનું નથી. હું તો ખાલી ટેન્ડર પ્રક્રિયામનાં ભાગ લેતો હોવ છું. મને કંઈ વધારે ખ્યાલ નથી. દિવ્ય ભાસ્કર- બાબરામાં ગ્રેવિટાસે કામ છોડ્યું અને તે જ કામ તમને તેમનાથી વધારે ભાવે મળ્યું આ કેવી રીતે થયું?હિમાંશુ ધાનાણી- બાબરામાં ગ્રેવિટાસે ક્યારેય કામ કર્યું હોય તેવું મારા ધ્યાનમાં જ નથી. મને આ અંગે કંઈ જ જાણ નથી. દિવ્ય ભાસ્કર- તમારા રાજકીય સંબંધોને કારણે તમને જ કામો મળે છે તેવા આરોપ છે?હિમાંશુ ધાનાણી- મારે કોઈ પોલિટિકલ કનેક્શન નથી. હું રાજકીય વ્યક્તિ જ નથી. મેં ક્યારેય કોઈ રાજકીય ભલામણ પણ નથી કરી. અમે આ સમગ્ર મામલે GUDM, GUDC અને મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનના કમિશનર IAS અધિકારી રેમ્યા મોહન સાથે પણ મુલાકાત કરી અને જવાબ જાણવાનો પ્રયાસ કર્યો. રેમ્યા મોહને કહ્યું કે ગુજરાતમાં અનેક કંપનીઓ PMC, TPI સહિતના કામ સાથે જોડાયેલી હોય છે. આ તો આખો દરિયો છે, તેમાંથી કોઈ એક કંપની વિશેની માહિતી અમારી પાસે હોવી એ તાત્કાલીક શક્ય નથી. અમારે આ અંગે તપાસ કરવી પડશે. વધુમાં તેમણે અમને GUDCના ડેપ્યુટી ડાયરેક્ટર યોગેશ ચાવડા સાથે મુલાકાત કરવા કહ્યું. ચાવડાએ પણ અમને દરેક માહિતી એકત્ર કર્યા બાદ જવાબ આપવા માટે સમર્થતા દર્શાવી. અમે જ્યારે એક દિવસ પછી તેમની મુલાકાત કરવા આવ્યા તો તેમણે ઓફ ધી રેકોર્ડ તો અનેક વાતો સ્વીકારી અને કેટલાકના જવાબ પણ આપ્યા. પરંતુ જ્યારે તેમને લેખિત જવાબ કે વીડિયો ઇન્ટરવ્યૂ આપવા અંગે અમે કહ્યું તો બોલ્યા, “થોડો સમય આપો. મેડમને પૂછવું પડશે.” યોગેશ ચાવડાની વાતને ગંભીરતા લઈને અમે થોડા સમય બાદ ફરીથી જ્યારે તેમનો સંપર્ક કર્યો તો વારંવાર પ્રયત્ન કરવા છતાં પણ તેમણે કોઈ જવાબ ન આપ્યા. અંતે તેમણે લેખિતમાં કે વીડિયોમાં આ અંગે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો. હવે ગંભીર સવાલ એ છે કે ડિઝાઇન પોઈન્ટ સામે આટલી ગેરરીતિના આરોપ હોવા છતાં પણ સરકારી અધિકારીઓ કોઈ પ્રકારના આકરા પગલાં કેમ નથી લેતા. વળી, જો આરોપો ખોટા હોય તો પછી તેનું ખંડન કરવામાં પણ કેમ ખચકાચ અનુભવે છે?
બાળકને સારી ખાનગી શાળામાં ભણાવવાનું દરેક વાલીનું સપનું હોય છે. ‘રાઈટ ટુ એજ્યુકેશન’ (RTE) અંતર્ગત આ સપનું સાકાર થઈ રહ્યું છે, પરંતુ ફોર્મ ભરતી વખતે નાનકડી ભૂલ બાળકના પ્રવેશમાં અવરોધ બની શકે છે. દિવ્ય ભાસ્કરે વાલીઓને મૂંઝવતા મુખ્ય પ્રશ્નોનો અભ્યાસ કરી તેના સચોટ ઉકેલ રજૂ કર્યા છે, જેથી તમારું બાળક શિક્ષણના અધિકારથી વંચિત ન રહે. મોટાભાગના વાલીઓ માત્ર 1 કે 2 જાણીતી શાળાઓ જ પસંદ કરે છે. જો ત્યાં સીટો ભરાઈ જાય, તો પ્રવેશ મળવાની શક્યતા શૂન્ય થઈ જાય છે. નિષ્ણાતોની સલાહ છે કે, તમારા ઘરથી 6 કિમીના દાયરામાં આવતી મહત્તમ શાળાઓ પસંદ કરો. શાળાનું નામ અને સરનામું ચકાસીને જ પસંદગીક્રમ આપો, જેથી અંતરના કારણે ફોર્મ રિજેક્ટ ન થાય. ઉકેલ : જાણો પ્રવેશ રદ ન થાય તે માટે ફોર્મ ભરવાથી લઈને સ્કૂલ પસંદગી સુધીની મહત્ત્વની બાબતો Q.1. ફોર્મ ભર્યા બાદ ભૂલ હોય તો શું કરવું?A. ફોર્મ ભર્યા બાદ ભૂલ જણાય તો નવું ફોર્મ ભરી શકશે. નવું ફોર્મ ભરતા જૂનું ફોર્મ આપોઆપ રદ થઈ જશે. Q.2. RTEમાં મેળવેલ પ્રવેશ રદ થઇ શકે ખરા?A. વાલીએ બાળકના રજૂ કરેલા ડોક્યુમેન્ટ શંકાસ્પદ હોય, ખોટા રજૂ કર્યા હોય, આવક મર્યાદા કરતા વધુ હોય છતાં પ્રવેશ લીધો હોય તો પ્રવેશ રદ પણ થઇ શકે છે. Q.3. ભાડાના મકાનમાં કયો પુરાવો માન્ય રહેશે?A. આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ- જો આ મુજબના આધાર પૈકી કોઈ એક હોય તો, રજિસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી. Q.4. આંગણવાડીના બાળકે ક્યું પ્રમાણપત્ર આપવું?A. આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય તો આંગણવાડી વર્કર અથવા સક્ષમ અધિકારીનો પ્રમાણિત કરેલ દાખલો રજૂ કરવાનો રહેશે. Q.5. શાળા પ્રવેશ આપવાની ના પાડે તો?A. તમે જરૂરી અધાર-પુરાવા રજૂ કરતા હોય તો પણ શાળા પ્રવેશની ના પાડે તો તાત્કાલિક જે તે DEO/DPEOની કચેરીમાં રૂબરૂ વાંધા અરજી આપવાની રહેશે. Q.6. પ્રથમ રાઉન્ડના અંતે અને બીજા રાઉન્ડ પહેલા શાળાની પસંદગીમાં ફેરફાર કરી શકાય?A. પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ જ બીજા રાઉન્ડ માટે ફરી શાળા પસંદ કરી શકશે, પ્રવેશ ફાળવણી થયેલા વિદ્યાર્થીઓ ફરી પસંદગી કરી શકશે નહીં. Q.7. વય મર્યાદા અને આવક કેટલી હોવી જોઈએ.A. ધોરણ-1માં પ્રવેશ માટે વિદ્યાર્થીએ 1લી જૂનના રોજ પ્રવેશ માટે 6 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ. ગ્રામ્ય અને શહેરી બંને માટે રૂ.6 લાખની આવક મર્યાદા લાગુ પડશે. Q.8. મારે કેટલી શાળા પસંદ કરવી જોઈએ?A. વધુમાં વધુ શાળા પસંદ કરવી હિતાવહ છે. વધુ શાળા પસંદ કરવાથી પ્રવેશ મળવાની શક્યતા વધે છે. Q.9. પ્રવેશ મળ્યો છે તેની જાણ કેવી રીતે થશે?A. દર્શાવેલ મોબાઇલ નંબર પર SMS દ્વારા જાણ કરાશે. Q.10. મારા બાળકે ધો.1નો અભ્યાસ પૂર્ણ કર્યો છે, ફરીથી RTE હેઠળ ધો.1માં અરજી કરી શકાય?A. આપનું બાળક જો ધોરણ 1માં અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલ હોય તો આપ અરજી કરી શકશો નહિ. Q.11. પ્રવેશ મળ્યા બાદ કોઇપણ ફી ભરવી પડશે?A. પ્રવેશ તદ્દન નિઃશુલ્ક છે. વિદ્યાર્થીઓને દર વર્ષે ડ્રેસ, બૂટ, પુસ્તકો, પરિવહન ખર્ચ, સ્કૂલ બેગ અને અભ્યાસને આનુસંગિક વસ્તુઓ માટે વિદ્યાર્થીદીઠ રૂ.3000 મળશે. Q.12. વધુમાં વધુ કેટલી શાળા પસંદ કરી શકીએ?A. કોઇ મહત્તમ સીમા નથી. 6 કિમી સુધીમાં આવેલી શાળાઓ પૈકી ગમે તેટલી શાળા પસંદ કરી શકો છો.
રીઢો ચોર ઝડપાયો:એસી કોચમાં જ ચોરી કરનારો ઝડપાયો, સાત ગુના ઉકેલાયા
પશ્ચિમ રેલવે અમદાવાદની લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટ્રેનોના એસી કોચમાં ચોરી કરતા આંતરરાજ્ય રીઢા ચોરને ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે કાલુપુર રેલવે યાર્ડ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન આરોપી કનૈયારામ ગરીબરામ (બિહાર)ને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પડાયો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી 1.50 લાખની કિંમતની મોંઘી ઘડિયાળ જપ્ત કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપી રાત્રિના સમયે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ એસી કોચમાં મુસાફરો ઊંઘતાં હોય ત્યારે તેમના કિમતી સામાનની ચોરી કરવાની ટેવ ધરાવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ આ આરોપી વિરુદ્ધ વિવિધ રાજ્યોમાં અનેક ગુના નોંધાયેલા હતા. હાલની કામગીરી દરમિયાન વિરમગામ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીનો ગુનો પણ ઉકેલવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ બાદ અન્ય સંભવિત ગુના અંગે પણ તપાસ શરૂ કરાઈ છે. આ શહેરોમાં ગુના નોંધાયા
કાનપુર-લખનઉ સેક્શનમાં મેગા ટ્રાફિક બ્લોક:અમદાવાદ-દરભંગા અને સાબરમતી મુજફ્ફરપુર ટ્રેનના રૂટમાં ફેરફાર
ઉત્તર રેલવેના કાનપુર-લખનઉ સેક્શનમાં બ્રિજ પર ચાલી રહેલી કામગીરીને કારણે 2 એપ્રિલથી 13 મે સુધી રેલવે દ્વારા મેગા ટ્રાફિક અને પાવર બ્લોક લેવાયો છે. આ બ્લોકને પગલે અમદાવાદથી સંચાલિત થતી બે ટ્રેનોના માર્ગમાં અસ્થાયી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર મુજબ ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા ક્લોન સ્પેશિયલ હવે કાનપુરથી પ્રયાગરાજ, પં. દીનદયાળ ઉપાધ્યાય અને પાટલીપુત્ર માર્ગે દોડશે, જેથી આ ટ્રેન લખનઉ, અયોધ્યા કેન્ટ, શાહગંજ અને છપરા સ્ટેશનો પર નહીં જાય. તે જ રીતે ટ્રેન નંબર 15270 સાબરમતી-મુજફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ પણ આ સમય દરમિયાન લખનઉ, ગોંડા, બસ્તી, ખલીદાબાદ, ગોરખપુર, દેવરિયા સદર, ભટની, સીવાન અને છપરા સ્ટેશનો પર નહીં જાય. કેટલાક પેસેન્જરે કન્ફર્મ ટિકિટ હોવા છતાંય કેન્સલ કરવી પડશેરૂટ બદલાતા મહત્ત્વનાં સ્ટેશનો પરથી સીધી ટ્રેન સેવા ઉપલબ્ધ નહીં થાય, જેથી મુસાફરોને કન્ફર્મ ટિકિટ હોવા છતાં યાત્રાના પ્લાનમાં ફેરફાર કરવો પડશે, જેમાં કેટલાકે કન્ફર્મ ટિકિટ હોવા છતાં રદ કરાવવી પડશે અથવા અન્ય સ્ટેશન પર ઊતરતા મુસાફરી સમયમાં વધારો થવાની પણ શક્યતા છે.
મંડે પોઝિટીવ:અડાલજથી વૈષ્ણોદેવી વચ્ચે 10 કિમીમાં 7 સમાજનાં ભવનો બનશે
વૈષ્ણોદેવી વિસ્તારને એજ્યુકેશન હબ તરીકે જાહેર કરવા માટે 6 પ્રમુખ સમાજ પોતાના ભવન તૈયાર કરી રહ્યા છે. વૈષ્ણોદેવીથી અડાલજ સુધીના 10 કિલોમીટરમાં 6 મોટા ભવન તૈયાર થઈ રહ્યા છે. વર્ષ 2028 સુધીમાં આશરે 1 હજાર કરોડમાં આ તમામ ભવનો તૈયાર થશે, જેમાં અભ્યાસને લઈને સમાજની સ્કૂલો, કોલેજો, ભવનની સાથે તાલીમ સેન્ટરના હેતુથી આ તમામ ભવન બનશે. અડાલજમાં સૌથી મોટું ભવન આંજણા ચૌધરી સમાજનું ત્યારે સૌથી ઊંચું પ્રજાપતિ સમાજનું ભવન તૈયાર થશે. અડાલજ એ અમદાવાદ, ગાંધીનગર, તેમ જ ઉત્તર ગુજરાતથી સેન્ટરમાં પડતું હોવાના લીધે અગ્રણી તમામ સમાજ પોતાના ભવન તૈયાર કરે છે. ચૌધરી સમાજ ભવન: 300 કરોડ ખર્ચપહેલી વાર દેશના તમામ જાટ, આંજણા અને ચૌધરી સમાજના વિદ્યાર્થીઓને એથલીટની તૈયારીઓ તેમ જ સરકારી પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે 300 કરોડના ખર્ચે આ ભવન માત્ર 3 વર્ષના ટૂંકા ગાળામાં તૈયાર કરવામાં આવશે. અભ્યાસની સાથે શારીરિક સક્ષમતાની પણ તાલીમ આપવામાં આવશે. (ઉપપ્રમુખ: નાનજી ચૌધરી) પ્રજાપતિ સમાજ ભવન: 250 કરોડ ખર્ચપ્રજાપતિ સમાજના સૌથી વધારે વસ્તી ઉત્તર ગુજરાત તેમ જ અમદાવાદમાં રહેતી હોવાથી અડાલજમાં ભવન બનવાનું નક્કી કરાયું, સાથે સાથે પહેલીવાર માત્ર સમાજની દીકરીઓ માટે કોલેજોનું નિર્માણ કરાશે. તમામ વિદ્યાર્થીઓ માટે એક પણ રૂપિયાનું ટોકન કે ફી લેવામાં આવશે નહીં. ભવન-હોસ્ટેલની સાથે કોલેજોનું નિર્માણ કરાશે. સમાજના એક સાથે 500થી વધારે વિદ્યાર્થીઓને ઉતારો આપવામાં આવશે. (પ્રમુખ: અનિલ પ્રજાપતિ) ઠાકોર સમાજ ભવન: 35 કરોડ ખર્ચગાંધીનગર તેમ જ અડાલજમાં ઠાકોર સમાજની વસ્તી વધુ હોવાના કારણે, તેમ જ સમાજના વિદ્યાર્થીઓનું ઓછું ભણતર હોવાના લીધે અડાલજમાં ભવનનું નિર્માણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. અડાલજની સાથે ગાંધીનગરમાં ઠાકોર સમાજનું ભવન તૈયાર કરાશે. રબારી સમાજ ભવન: 65 કરોડ ખર્ચવૈષ્ણો દેવી સર્કલ ખાતે અંતિમ 2 વર્ષથી સમાજ દ્વારા રેક્ટ ભવન તૈયાર કરાય છે, આ ભવન 8 માળ ઊંચું હશે. ગાંધીનગર, અમદાવાદ અને ઉત્તર ગુજરાત જવા માટે સેન્ટર પડતું હોવાથી સમાજના અગ્રણીઓ દ્વારા ભવન બનાવવાનું નક્કી કરાયું છે. સમાજના વિદ્યાર્થીઓ માટે હાલ નાનું સેન્ટર ચાલુ છે. ભવન માટે સમાજના અગ્રણીઓએ દાનમાં જમીન આપી છે. (પ્રમુખ: મુકેશભાઈ રબારી ભાંડુ) પાટીદાર સમાજ ભવન: 150 કરોડ ખર્ચસરદાર ધામ સંસ્થા અંતિમ 10 વર્ષથી સમાજના વિદ્યાર્થીઓ માટે કાર્ય કરે છે. વૈષ્ણોદેવી સર્કલમાં સમાજની દીકરીઓ માટે માત્ર 1 રૂપિયાના ટોકનમાં 14 માળ ઊંચું ભવન તૈયાર કર્યું છે. આ સંસ્થા માત્ર સમાજની દીકરીઓ માટે કાર્ય કરે છે, જેમાં સરકારી તાલીમ ઉપર ફોકસ કરે છે. 100થી વધુ અગ્રણીઓ આ ભવન માટે સેવા આપી રહ્યા છે. સંસ્થા દ્વારા 5 વર્ષ પહેલા પણ મહિલા ભવનનું ફેઝ વન તૈયાર કરાયું હતું. (પ્રમુખ: ગગજી સુતરીયા) પટેલ સમાજ ભવન: 2 હજાર કરોડ ખર્ચવિશ્વ ઉમિયા ધામ માત્ર પાટીદાર સમાજની સાથે સર્વ સમાજના વિદ્યાર્થીઓ માટે કાર્ય કરે છે. અડાલજના જાસપુરમાં સૌથી મોટા ભવનની સાથે તમામ સમાજના વિદ્યાર્થીઓને આ ભવનમાં સ્થાન આપવામાં આવશે. તેમ જ દેશ ભરના પાટીદાર સમાજના વિદ્યાર્થીઓને આ ભવનમાં ઉતારો અપાશે. (પ્રમુખ: આરપી પટેલ) મોદી સમાજ ભવન: 30 કરોડ ખર્ચમોદી સમાજની વૈષ્ણોદેવીમાં મહિલા ભવન તૈયાર કરી રહી છે, આ પ્રકારનું મહિલા ભવન પહેલીવાર તૈયાર થઈ રહ્યું છે. આ ભવનમાં વિધવા, નિરાધાર તેમ જ સમાજની દીકરીઓને ઉતારો આપવામાં આવશે. ભવનમાં ઓછા દરે ઉતારોની વ્યવસ્થા કરાઇ છે. (પ્રમુખ: દિલીપ મોદી)
વાલોડના ખેડૂતનો ખેતીમાં પણ AI નો ઉપયોગ:પાકમાં સંભવિત રોગ, હવામાં ભેજ, વાતાવરણની આગોતરી જાણકારી
પરંપરાગત ખેતી જ્યારે ખર્ચાળ બની રહી છે, ત્યારે સુરત જિલ્લાના ઓવિયાણ ગામના પ્રગતિશીલ યુવા ખેડૂત જીગર દેસાઈએ ટેકનોલોજી અને પ્રાકૃતિક ખેતીનો સમન્વય કરી નવો રાહ ચિંધ્યો છે. વાલોડ અને શિકેર ગામે 12 હેક્ટર જમીનમાં આધુનિક AI અને સજીવ ખેતીના જોરે તેમણે 'આજાજી' બ્રાન્ડ સ્થાપિત કરી છે. 15 હજાર આંબાની કલમ, 1500 નાળિયેરી,અને 4500 ડ્રેગન ફૂટની ખેતી કરે છે. તેમની સફળતાની કહાની તેમના જ શબ્દોમાં.... મેં તાપી જિલ્લાના શિકેર ગામમાં આવેલી મારી ખેતીમાં આધુનિક AI ટેકનોલોજી અપનાવી છે. આ યંત્ર જમીનમાં આવનારા સંભવિત રોગ, વરસાદની આગાહી, હવામાં ભેજ અને તાપમાનની ચોક્કસ વિગતો મારા મોબાઈલ પર આપે છે. આ આગોતરી જાણકારીને કારણે પાકને થતું નુકસાન હું અટકાવી શકું છું અને દવાનો બિનજરૂરી ખર્ચ બચે છે. આ ટેકનોલોજી જ જમીન અને પાક વચ્ચેનો સેતુ બની છે. મારા ફાર્મમાં મુખ્યત્વે કેરીનો પાક છે. મેં 10 બાય 10 ફૂટના અંતરે જમ્બો કેસરની 3500, કેસરની 3000, દશેરીની 1000, તોતાપુરી 1000, સોનપરી 6000, હાફૂસ 50, રાજાપુરી 200 અને વિશ્વપ્રખ્યાત મિયાઝાંકીની 15 હજાર કલમો રોપી છે. ખેતરની બોર્ડર પર 1500 રક્તચંદન, 700 નારિયેળ અને આંતરપાક તરીકે 4500 ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરી મેં જમીનનો એક-એક ઇંચ ઉપયોગ કર્યો છે. અમે જીવામૃત, અમૃત પાણી અને દશ પર્ણ અર્ક જેવા જૈવિક ખાતરો જાતે જ બનાવીએ છીએ. વેસ્ટ કમ્પોઝર જેવી પ્રોડક્ટ્સથી ઇનપુટ કોસ્ટમાં મોટો ઘટાડો થયો છે. વર્ષ 2023-24માં અમને ₹65 લાખની આવક થઈ હતી, જેની સામે ખર્ચ માત્ર ₹15-17 લાખ જ હતો. ગત વર્ષે ખરાબ હવામાન છતાં અમે ₹40 લાખની આવક મેળવી અમારી ક્ષમતા સાબિત કરી છે. મૂલ્યવર્ધન અને આંતરરાષ્ટ્રીય ઓળખજિગરભાઇ જણાવે છે કે, અમે માત્ર ફળ જ નહીં, પરંતુ કેસર કેરીનો પાવડર, રસ અને ડ્રેગન ફ્રૂટ પાવડર બનાવીને સીધું વેચાણ કરીએ છીએ. અમારું ફાર્મ ઓર્ગેનિક સર્ટિફાઇડ છે, જે વિદેશમાં નિકાસ માટે સક્ષમ છે. મને અત્યાર સુધીમાં 27 એવોર્ડ મળ્યા છે, જેમાં ગુજરાત સરકારનો પ્રતિષ્ઠિત સરદાર પટેલ એવોર્ડ મુખ્ય છે. આ પ્રગતિશીલ ખેડૂત પાસેથી જાણો વધુ વિગત...9824110106 આ સમાચાર અન્યોને પણ શૅર કરો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા નિવારવા નવી ગાઈડલાઈન અમલી બનાવવામાં આવી છે. હવે સોસાયટી કે કોમર્શિયલ બિલ્ડિંગના માર્જિનમાં દબાણ કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે. જો બીયુ પરમિશન વખતે દર્શાવેલી પાર્કિંગની જગ્યાનો અન્ય ઉપયોગ થતો જણાશે, તો બિલ્ડિંગની મંજૂરી રદ થઈ શકે છે. દરેક સોસાયટીએ દર વર્ષે પાર્કિંગ દબાણમુક્ત હોવાનું ‘સેલ્ફ ડેક્લેરેશન’ આપવું ફરજિયાત રહેશે. સોસાયટીઓ માટે કમાણીની તક પણ છે. જો વધારાની પાર્કિંગની જગ્યા હોય, તો તેઓ કોર્પોરેશનના માધ્યમથી અન્ય લોકોને ભાડે આપી શકશે, જેનું ભાડું સોસાયટી પોતે નક્કી કરશે. રોડ પર અનધિકૃત પાર્કિંગ ન થાય તે માટે સોસાયટીએ વોચમેન રાખવો પડશે અને મુલાકાતીઓના વાહનો બિલ્ડિંગની અંદર જ પાર્ક થાય તે સુનિશ્ચિત કરવું પડશે. જૂની બિલ્ડિંગો માટે મુલાકાતી પાર્કિંગની વ્યવસ્થા કરવી એક પડકાર રહેશે, પરંતુ આ નવી પોલિસીથી રોડ પરનું દબાણ ઘટશે. પાર્કિંગની માહિતી એપ પર જાહેર કરવી પડશે
ખાદ્યતેલના ભાવમાં ઉછાળો:છેલ્લા દોઢ માસમાં સિંગતેલમાં ડબે રૂ.150 અને કપાસિયામાં રૂ.240નો વધારો થયો
અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે પામતેલની આયાત ઓછી થવાથી તેની અસર સ્થાનિક બજારમાં પડી છે. છેલ્લા દોઢ મહિનામાં સિંગતેલમાં ડબે રૂ.150 અને કપાસિયામાં રૂ.240નો વધારો થયો છે. ભાવ વધારાના કારણે શહેરમાં રોજ 5.84 કરોડનો વધારાનો આર્થિક બોજ પડી રહ્યો છે. ફેબ્રુઆરીથી એપ્રિલ વચ્ચેના ગાળામાં લગભગ તમામ મુખ્ય તેલોમાં વધારો નોંધાયો છે. સિંગતેલના ભાવ રૂ. 2,950થી વધીને રૂ. 3,100 થયા છે એટલે કે રૂ. 150નો વધારો થયો છે. કપાસિયા તેલમાં સૌથી વધુ ઉછાળો નોંધાયો છે, જેમાં રૂ. 2,320થી વધીને રૂ. 2,560 સુધી પહોંચી રૂ. 240નો વધારો થયો છે. તાજેતરમાં જ સિંગતેલમાં રૂ. 10 અને કપાસિયા તેલમાં રૂ. 20નો થયો છે. ગુજરાત રાજ્ય ખાદ્ય તેલ વેપારી મહામંડળના પૂર્વ પ્રમુખ બિપિન શાહનું કહેવું છે કે, કુલ વધારામાંથી રૂ.70થી 80નો વધારો માત્ર યુદ્ધના પ્રભાવના કારણે થયો છે. આ પરિસ્થિતિ પાછળ કાચા માલની અછત પણ મહત્વનું કારણ છે. શહેરમાં સિંગતેલના રોજના 3 હજાર, કપાસિયા તેલના 12 હજાર, સનફ્લાવના 10 હજાર, પામતેલના 25 હજાર અને સરસવના 5 હજાર ડબાનું વેચાણ થાય છે. ભાવ વધારાના કારણે અમદાવાદીઓ પર રોજના 5.84 કરોડ રૂપિયાનો વધારાનો આર્થિક બોજો પડ્યો છે. પામતેલમાં સૌથી વધુ રૂ.280નો વધારો નોંધ : બે માસમાં તેલના ડબ્બે થયેલા ભાવ વધારો રૂપિયામાં છે.
ચોરી થયેલા, ગુમ થયેલા કે ખોવાયેલા મોબાઈલ ફોન બ્લોક કરવા તેમજ દેશના ગમે તે ખૂણામાં તે ફોન ચાલુ થાય તો તેને આઈએમઈઆઈ નંબરના આધારે શોધી કાઢવા પોલીસે સીઈઆઈઆર પોર્ટલ (સેન્ટ્રલ ઈકવીપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટર) તૈયાર કર્યુ હતું. આ પોર્ટલની મદદથી અમદાવાદ સહિત રાજ્યમાંથી ચોરી થયેલા 1.77 લાખ મોબાઈલ ફોનમાંથી 1.10 લાખ ફોન ટ્રેક કરાયા હતા જ્યારે પોલીસે 51 હજાર ફોન શોધીને માલિકને પરત આપ્યા છે. જેની ટકાવારી 46 ટકા જેટલી થાય છે. આ શોધી કાઢેલા ફોનની અંદાજિત કિંમત 100 કરોડ થવા જાય છે. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજીયણે કહ્યું કે, આ સોફટવેરનો ઉપયોગ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચમાં જુદા જુદા પોલીસ સ્ટેશનના સ્ટાફને ટ્રેનિંગ અપાઈ હતી. દેશભરમાંથી કુલ 50 લાખ મોબાઈલ નંબર બ્લોક કરાયા હતા, જ્યારે 30 લાખ નંબર ટ્રેક થઈ રહ્યા હતા. ડીજીપી ઓફિસના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં 2 વર્ષમાં ચોરી થયેલા, ખોવાયેલા, ગુમ થયેલા 1.77 લાખ મોબાઈલ ફોનનો ડેટા આ સોફટવેરમાં નખાયો હતો. તેમાંથી 1.10 લાખ મોબાઈલ દેશના જુદા જુદા શહેર, જિલ્લા અને ગામડાઓમાં એક્ટિવ થયા હોવાથી તેને ટ્રેક કરાયા હતા. તેમાંથી આઈએમઈઆઈ નંબરના આધારે 51 હજાર મોબાઈલ શોધી કઢાયા હતા. અમદાવાદમાંથી વર્ષે 4થી 5 હજાર મોબાઈલ ફોન ચોરાય છેપોલીસના જણાવ્યા અનુસાર અમદાવાદમાંથી દર વર્ષે 4 થી 5 હજાર જેટલા મોબાઈલ ફોનની ચોરી થાય છે. જ્યારે સીઈઆઈઆર પોર્ટલની મદદથી પોલીસે થોડા જ સમયમાં 300 થી વધારે ફોન શોધીને માલિકોને પાછા આપ્યા હતા. જ્યારે દિન પ્રતિદિન ચોરી થયેલા મોબાઈલ ફોન શોધી કાઢવામાં પોલીસનો ડિટેકશન દર વધી રહ્યો છે. આ રીતે કામ કરે છે CEIR સોફ્ટવેરસેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર (CEIR) એ એક કેન્દ્રીય સિસ્ટમ છે જે ચોરાયેલા કે ગુમ થયેલા મોબાઈલના IMEI નંબરને નેટવર્ક સ્તરે બ્લોક કરે છે. આ સોફ્ટવેરની ખાસિયત એ છે કે ફોન ગમે તે રાજ્યમાં હોય, તેમાં નવું સીમકાર્ડ નાખતા જ તે નેટવર્ક પકડતું નથી અને તુરંત પોલીસને લોકેશન મોકલી દે છે. આ સોફટવેરથી મોબાઈલ રિક્વરીમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે, 1.10 લાખ ફોન ટ્રેસ કરાયા
અકસ્માત સર્જાય ત્યારે લોકો પોલીસ કાર્યવાહી કે કોર્ટના ધક્કાથી ડરી મદદ કરવાનું ટાળે છે, પણ શહેરના બે રાહવીરે તેની ચિંતા કર્યા વગર અકસ્માતમાં ઘવાયેલા લોકોની મદદે આવ્યા હતા. આ કામગીરી બદલ જિલ્લા કલેક્ટર કચેરીએ ‘રાહવીર યોજના’ અંતર્ગત બંનેને 25-25 હજાર ઇનામ, પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા છે. એક રાહવીરે બાવળા હાઈવે પર અકસ્માતમાં કચ્ચરધાણ નીકળી જવા છતાં ગેસ કટરથી કાપી જીવિત લોકોને બહાર કાઢ્યા હતા. બીજા રાહવીરે સનાથલ સર્કલ પરના અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી યુવતીને એમ્બ્યુલન્સની રાહ જોયા વગર રિક્ષામાં બેસાડી હોસ્પિટલ લઈ ગયો હતો. કિસ્સો 1: બાવળા હાઈવે પર કારમાં ફસાયેલા ડ્રાઈવરનું બચવું મુશ્કેલ હતુંબાવળા હાઈવે પર થયેલા અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ડ્રાઈવર લોખંડનાં પતરાં વચ્ચે ફસાયો હતો. એ સમયે બાવળાના ‘રાહવીરે’ ત્યાં પહોંચી જોયું કે ઈજાગ્રસ્તના શ્વાસ ખૂટી રહ્યા છે. એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડની રાહ જોવામાં જો મોડું થશે તો જીવને જોખમ છે. યુવકે તાત્કાલિક ગેસ કટરની વ્યવસ્થા કરી એકત્ર થયેલા લોકોની મદદથી ગેસ કટરથી કારના પતરાં કાપી જીવ બચાવ્યો હતો. એક નાની ભૂલ ઈજાગ્રસ્તનો જીવ લઈ શકત, પણ ચોકસાઇથી કામ કરતા ભારે જહેમત બાદ લોખંડના પતરાં કાપી ઈજાગ્રસ્તને બહાર કાઢી એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવાતા તેનો જીવ બચ્યો હતો. કિસ્સો 2: સનાથલ સર્કલ પાસેના યુવતી વાહનની ટક્કરે ફંગોળાતા ઈજા થઈ હતીસનાથલ સર્કલ પાસે અકસ્માતની બીજી ઘટનામાં સાંજે 4થી 5 વાગ્યા વચ્ચે ટ્રાફિકમાં એક 20 વર્ષની યુવતી પૂરપાટ વાહનની અડફેટે આવતાં હવામાં ફંગોળાઈને રોડ પર પટકાઈ હતી. રજાના કારણે રસ્તા સૂમસામ હોવાથી યુવતીની મદદ કરનાર કોઇ જણાતું નહોતું. આ સમય દરમિયાન નોકરીએથી પરત ફરતી એક વ્યક્તિએ ગંભીર ઇજાગ્રસ્ત યુવતીને જોતાં જ એમ્બ્યુલન્સની રાહ જોયા વગર રિક્ષામાં બેસાડી હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે રસ્તામાં એમ્બ્યુલન્સ મળતા સોલા સિવિલ હોસ્પિટલ લઈ જતા તેને સમયસર સારવાર મળી ગઈ હતી. અત્યાર સુધી 85 રાહવીરને 6.18 લાખ ચૂકવાયાઅકસ્માતના એક કલાકની અંદર જ ઇજાગ્રસ્ત વ્યક્તિને જો કોઇ વ્યક્તિ હોસ્પિટલ પહોંચાડે તો તેને પ્રોત્સાહન અપાય છે. આ રકમ પહેલા 5 હજાર હતી, તેને વધારીને 25 હજાર કરાઇ છે. ગુજરાતમાં 2023થી જાન્યુઆરી 2026 સુધીમાં 85 રાહવીરને 6.18 લાખની સહાય અપાઇ છે. મગજ-કરોડરજ્જુની ઈજા, મોટી સર્જરી કે દર્દીને 3 દિવસ હોસ્પિટલમાં દાખલ રહેવાના ગંભીર કિસ્સામાં આ સહાય મળે છે. આ સ્થિતમાં સારવાર દરમિયાન મૃત્યુ થાય તો પણ રાહ-વીર સહાયને પાત્ર છે. 50% મોત સમયસર સારવારના અભાવે થયા
મંડે પોઝિટીવ:જંગલમાં પિતા- પુત્રએ 6000 લીટર પાણીથી પશુ-પક્ષીઓ માટે કુંડ ભર્યા
બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની ગરમીમાં જંગલમાં રહેતા પ્રાણીઓ, પક્ષીઓને પીવા માટેના પાણીની તકલીફ ન પડે તેની ચિંતા જડીયાલ ગામના પિતા- પુત્રએ કરી છે. જેઓ સ્વખર્ચે પોતાનું ટ્રેકટર અને ગ્રામ પંચાયતના ટેન્કરમાં પાણી ભરી વન વિભાગ દ્વારા બનાવવામાં આવેલા કુંડ પાણીથી ભરી રહ્યા છે. અત્યાર સુધીમાં 6000 લીટર પાણી તેમણે પ્રાણી પક્ષીઓને પીવડાવ્યું છે. પાલનપુર તાલુકાના જડીયાલ ગામના સામાજીક કાર્યકર ખેડૂત અને જીવદયા પ્રેમી સમીરભાઇ દેસાઇ અને તેમના પુત્ર મિતેશ દર વર્ષે ઉનાળામાં સેવાનું કામ કરે છે. તેમણે જણાવ્યું હતુ કે, અસહ્ય ગરમીમાં મનુષ્યો તો ઠીક, અબોલ પશુ-પક્ષીઓની હાલત પણ કફોડી બની છે. આવી વિકટ પરિસ્થિતિમાં દર વર્ષે ઉનાળાની શરૂઆત થતા જ જંગલમાં જઇએ છીએ. આ વખતે 2000 લીટર પાણીના ત્રણ ટેન્કર દ્વારા કુલ 6000 લીટર પાણી કુંડમાં ભર્યું છે. ગયા વર્ષે 50 પાણીના કુંડા પણ ઝાડ ઉપર બાંધી તેમાં પાણી ભર્યુ હતુ. આ કામગીરી ઉનાળામાં પશુ-પક્ષીઓ પાણીની શોધમાં માનવ વસાહત તરફ ન ફંટાય અને જંગલમાં જ તેમને ખોરાક-પાણી મળી રહે તે હેતુથી અમે આ પ્રયાસ કર્યો છે. રાની પશુઓ માટે આશીર્વાદરૂપ સેવાજડીયાલનું જંગલ રીંછ, દીપડા, નીલગાય, શિયાળ અને વાંદરા જેવા પ્રાણીઓનું નિવાસસ્થાન છે. ઉનાળામાં કુદરતી જળસ્ત્રોત સુકાઈ જતાં આ પ્રાણીઓ ભારે મુશ્કેલીમાં મુકાતા હોય છે. ત્યારે સમીરભાઈ અને મિતેશભાઈ દ્વારા ભરાતા આ પાણીના કુંડ આ વન્યજીવો માટે આશીર્વાદ સમાન સાબિત થયા છે.
ટેક્સ ચોરી પકડવા સેટેલાઇટ સોફ્ટવેર સિસ્ટમ ઊભી કરાશે:હવે ‘ઉપરવાળો’ બધું જોશે!
ગુજરાતના આવકવેરા વિભાગ અને ઇસરો વચ્ચે ટેક્સ સંબંધિત માહિતીના આદાનપ્રદાન માટે એમઓયુ થયા છે. એમઓયુ મુજબ, એક સોફ્ટવેર ટુલ્સ કે મોડેલ બનાવાશે, જે ટેક્સના વહીવટતંત્ર અને ટેક્સ નિયમોના પાલન માટે સેટેલાઇટ તસવીરનો ઉપયોગ કરશે, એટલે કે સેટલાઇટ ડેટા દ્વારા કરચોરી પકડવામાં આવશે. હાલમાં ખેતીની જમીન બાબતે મુખ્ય બે રીતે ટેક્સ ચોરી થાય છે: ખેતી કર્યા વગર કૃષિ આવક બતાવવી અને બીજું જમીન વેચાણમાં કેપિટલ ગેઇન બચાવવા બિનખેતીને કૃષિ જમીન બતાવવી અને બીજું જમીન વેચાણમાં કેપિટલ ગેઇન બચાવવા માટે બિનખેતી જમીનને કૃષિ તરીકે દર્શાવવી. હવે સેટેલાઇટ ડેટાના એનાલિસિસથી આ બંને ગેરરીતિઓ સરળતાથી પકડાશે. રિમોટ સેન્સિંગ દ્વારા લેવામાં આવેલા ફોટોગ્રાફ અને ડેટા પરથી પાકનો પ્રકાર, તેની વૃદ્ધિ, જમીન લીલી છે કે સૂકી આ બધું જાણી શકાય છે. એટલે કે સેટેલાઇટ ઇમેજના ઉપયોગથી ખેતીની જમીનની ખરાઇ થઇ શકશે અને ખોટી કૃષિ આવક બતાવી ટેક્સ ચોરી કરનાર પર લગામ લાગશે. આ એમઓયુ થવાથી રિમોટ સેન્સિંગ ડેટાથી ઇન્કમ ટેક્સ રિટર્નની સ્ક્રુટિની વધુ ચોક્કસ બનશે. ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ અને માઈક્રોવેવ રડાર સેટેલાઈટઆ ટેક્નોલોજીમાં ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ અને માઇક્રોવેવ રડાર સેટેલાઇટનો ઉપયોગ થશે, જે 3-5 વર્ષ સતત માહિતી આપશે. ઉપરાંત 15-20 વર્ષનો ડેટા હોવાથી લાંબા ગાળાની તપાસ થઇ શકશે. ડેટાનો ઉપયોગ સાચા ખેડૂતો પોતાના હિત માટે કરી શકશે. કોઈ સાચી ખેતી કરે છે, તો ડેટાના આધારે પોતાની આવકને સાબિત કરી ખોટા કેસથી બચી શકશે. ‘આ માટે ખાસ એપ-પોર્ટલ તૈયાર જેમાં અધિકારીઓને જમીનનો ઈતિહાસ દેખાશે’નોર્મલાઇઝ્ડ ડિફરન્સ વિજિટેશન ઇન્ડેક્સ (NDVI) ટેકનોલોજીથી પાકની સ્થિતિનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન થાય છે. જો કોઈ કરદાતા 5 વર્ષથી ખેતી બતાવે પરંતુ સેટેલાઇટ ડેટામાં જમીન સૂકી દેખાય, તો તરત જ શંકા ઊભી થાય છે. આ માટે ખાસ એપ અને પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે, જેથી અધિકારીઓ સીધા જ જમીનનો ઇતિહાસ જોઈ શકે. અગાઉ 2થી 5 વર્ષ જૂના રિટર્ન ચકાસવામાં આવકવેરા અધિકારીઓને મુશ્કેલી પડતી હતી, પરંતુ હવે સેટેલાઇટ ડેટાથી તપાસ ઝડપી બનશે. > નિલેશ દેસાઇ, ડાયરેક્ટર, ઇસરો ભાસ્કર ઇનસાઇડ: કેવી રીતે ખેતીની જમીન બતાવી ટેક્સ ચોરી થાય છે? ખોટી પેમેન્ટ સ્લિપ રજૂ કરીને: જો જમીન વેચતા પહેલા ઓછામાં ઓછા બે વર્ષ સુધી તેના પર ખેતી થઈ હોય, તો કેપિટલ ગેઈન ટેક્સમાં મુક્તિ મળે છે. પરંતુ કેટલાક લોકો બંજર જમીન વેચે છે જેના પર ક્યારેય પાક લેવાયો નથી. તેઓ ટેક્સ બચાવવા બનાવટી પેમેન્ટ સ્લિપ રજૂ કરે છે. ખેતીના ખર્ચમાં વધારો બતાવવો: ટેક્સ બચાવવા માટે કેટલાક લોકો ખેતી માટે બિયારણ, ખાતર અને મજૂરીના ખોટા બિલો બનાવીને વધુ પડતો ખર્ચ દર્શાવે છે. આનાથી તે જમીન પર થતો નફો ઓછો દેખાય છે, જેનો ઉપયોગ અન્ય કાળા નાણાંને એડજસ્ટ કરવા માટે થાય છે. જમીનની કિંમત ઓછી દર્શાવવી: જમીન વેચતી વખતે તેની સાચી બજાર કિંમત કરતાં દસ્તાવેજમાં ઓછી કિંમત દર્શાવવામાં આવે છે. બાકીની રકમ રોકડમાં લેવામાં આવે છે, જેના પર કોઈ કેપિટલ ગેઈન ટેક્સ ભરવો પડતો નથી. જમીનનો બિન-ખેતી ઉપયોગ છુપાવવો: ઘણીવાર જમીન માલિકો જમીનનો ઉપયોગ વાણિજ્યિક કે રહેણાંક હેતુ માટે કરતા હોય છે, પરંતુ કાગળ પર તેને ખેતીની જમીન તરીકે જ દર્શાવે છે. અન્ય વ્યવસાયની આવકને ખેતીની આવક ગણાવે છે. પાક વીમા ક્લેઇમનું પણ આકલન થઇ શકશેઆ ટેકનોલોજીનો ઉપયોગ કરચોરી પકડવા પૂરતો જ નહીં, ક્રોપ ઇન્સ્યોરન્સ ક્લેઇમમાં પણ થશે. પાકની વૃદ્ધિ, સિઝનલ ફેરફારના આધારે ક્લેઇમ નક્કી થઈ શકશે. આ ઉપરાંત ખોટા ક્લેઇમ પર નિયંત્રણ આવશે. કેટલું નુકસાન થયું તે ચોક્કસ માપી શકાય છે. ખેડૂતો દાવો સાબિત કરી શકે છે અને સરકાર પણ સચોટ રીતે ક્લેઇમ નક્કી કરી શકે છે, જેથી પારદર્શિતા વધશે.
પોલીસ કાર્યવાહી:3 સ્થળેથી દારૂની 12 બોટલ સાથે યુવતી સહિત 3 ઝડપાયા
મૂળ રાણાવાવના અણીયારી ગામે અને હાલ જૂનાગઢ રહેતી ક્રિષ્નાબેન શામજી ભરડવા નામની યુવતી કુતિયાણાના ચૌટા ચેક પોસ્ટ પાસેથી પસાર થતા પોલીસે શંકાના આધારે તપાસ કરતા આ યુવતીના કબ્જા માંથી વિદેશી દારૂની 2 બોટલ મળી આવતા પોલીસે તેને ઝડપી લઇ કુલ રૂ. 3510નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ઉપરાંત બીજા કેસમાં પોરબંદરના વેકુરડી પ્લોટ જાહેરપીરની દરગાહ સામે રહેતો નરશી વેલજી સીકોતરા નામના શખ્સને તેના ઘર નજીકથી પોલીસે શંકાના આધારે તલાસી લેતા શખ્સના કબ્જા માંથી વિદેશી દારૂની 6 બોટલ મળી આવતા પોલીસે તેને ઝડપી લઇ કુલ રૂ.4080નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ઉપરાંત પારેખ ચકલા સોની બજારમાં રહેતો ચંદ્રેશ હેમેન્દ્ર પારેખ નામનો શખ્સ ગાયવાડી જાહેર શૌચાલય પાસે હતો ત્યારે પોલીસે શંકાના આધારે તલાસી લેતા શખ્સના કબ્જા માંથી વિદેશી દારૂની 4 બોટલ મળી આવતા પોલીસે શખ્સને ઝડપી લઇ કુલ રૂ.2600નો મુદ્દામાલ કબ્જે કરી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, વધુ એક અન્ય બનાવમા પોરબંદર જિલ્લામાં દારૂની બદી દૂર કરવા જિલ્લા પોલીસ દ્વારા પેટ્રોલિંગ, ચેકીંગ અને બાતમી આધારે દરોડા પાડવામાં આવે છે ત્યારે છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં દારૂ અંગેના 30 કેસ નોંધાયા હતા, જેમાં 13 શખ્સ નશો કરેલ હાલતમાં મળી આવતા, પોલીસે તેઓની સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અન્ય 17 કેસમાં પોલીસે 108 લિટર દેશી દારૂ અને ભઠ્ઠી સહિત કિંમત રૂ.27,550નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી સામે કાર્યવાહી હાથ ધરી હતી.
બાઇક ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો:માધવપુરમાંથી વધુ એક બાઈક ચોરી થતા ફરિયાદ
માધવપુર ગામે ગદાવાવ ઝાંપા વિસ્તારમાં પાતા ગામના આધેડે પોતાનું બાઇક પાર્ક કર્યું હતું જે બાઈક ચોરી થઈ જતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. પાતા ગામે દડ વિસ્તારમાં રહેતા ભીખુભાઈ લાખાભાઇ પરમાર નામના આધેડે પોતાનું GJ 25 R 3131 નંબરનું બાઇક ગત તા.29/3ના રોજ માધવપુરમાં ગદાવાવ ઝાંપા પાસે બેન્કની સામે આવેલ કોમ્પલેક્ષના પાછળના ભાગે ગલીમાં પાર્ક કર્યું હતું. અને પરત લેવા જતા આ બાઇક મળી આવેલ ન હતું. જેથી આધેડે શોધખોળ કરી હતી પરંતુ બાઇક કોઈ શખ્સ ચોરી કરી લઈ ગયો હોય જેથી આધેડે પોલીસમાં બાઇક ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુન્હો નોંધી વધુ આગળની તપાસ માધવપુર પોલીસ ચલાવી રહી છે.
ભાસ્કર એનાલિસિસ:ભાજપના 6 આકરા નિયમથી 60% દાવેદારોની ટિકિટ કપાશે
સુરેન્દ્રનગર મનપાની ચૂંટણીમાં સેન્સ પ્રક્રિયામાં 52 બેઠક માટે 491 લોકોએ દાવેદારી નોંધાવી છે. ત્યારે ભાજપના ઉમેદવાર પસંદગીના 6 આકરા નિયમોના પગલે 60 ટકા એટલે કે, 256 દાવેદારોની ટિકિટ કપાઇ શકે તેમ છે. તેમાંય વર્તમાન સમયે નો રિપીટ થિયરીની પણ વાતો ચાલી રહી છે. જો તેનું સંપૂર્ણ પાલન થાય તો 80% લોકોને ઘરે બેસવાનો વારો આવશે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં 491 લોકોએ 52 બેઠક માટે ટિકિટની દાવેદારી કરી છે. ત્યારે ભાજપે 3 ટર્મ ચૂંટણી લડી ચૂકયા હોય, જન પ્રતિનિધી સાથે લોહીના સબંધ ધરાવતા હોય, એમપી, એમએલએ, નગરસેવકના પરિવારને પણ ટિકિટ નહી આપવાની સાથે 60 વર્ષથી વધુનાની બાદબાકી કરવાનો નિર્ણય લીધો છે. આમ ભાજપના આ 6 આકરા નિયમને કારણે અનેક દાવેદારોની ઉંઘ હરામ થઇ ગઇ છે. આથી જ દાવેદારોમાં એક જ સવાલ છે કે આપણું પત્તુ કપાશે કે ટીકીટ મળશે. મહત્વની બાબત એ છે કે, કોર્પોરેટરના સગાને પણ ટિકિટ નહી આપવાના નિર્ણયથી 25 ટકા દાવેદારોની ટિકિટ કપાઇ શકે છે. જ્યારે 60 વર્ષની ઉંમરને કારણે 10 ટકા, ત્રીજીવાર લડવાને કારણે 15 ટકાની ટિકિટ કપાઇ જાય તેમ છે. 3 વર્ષથી વધુ સમયથી ભાજપના સભ્ય હોવા જોઇએ. આ નિયમોને કારણે હાલતો ભાજપના કાર્યકરો દોડતા થઇ ગયા છે. આટલુ જ નહી પરંતુ જો પોતાની ટીકીટ કપાય તો જે તાકાત વાળા દાવેદારો છે તેઓ અપક્ષ ઉમેદવારી કરવાના મુડમાં આવી ગયા છે. જ્યારે આ મહાનગર પાલિકામાં જે નવા ભળેલા 5 ગામડા છે તેમાં સરપંચ અને ભાજપના આગેવાનોએ પણ દાવેદારી કરી છે. તેઓ પણ ભારતીય જનતા પાર્ટીના જ ઉમેદવારો માટે પડકાર રૂપ બની શકે છે. બીજી બાજુ કોંગ્રેસ ભાજપના ઉમેદવારોના નામ જાહેર કરવાની રાહ જોઇ રહી છે. કારણ કે ભાજપના ઉમેદવાર સામે કોંગ્રેસનો કયા ઉમેદવાર સક્ષમ છે તેનો અભ્યાસ કરીને કોંગ્રેસ અમુક સીટો ઉપર ઉમેદવાર જાહેર કરશે. જ્યારે આપે 24 ઉમેદવારની જાહેરાત કરી દીધી છે અને બાકીના ઉમેદવારોની શોધ કરી રહી છે. ભાસ્કર એક્સપર્ટ: નવી વોર્ડ રચનાથી મતોનું વિભાજન થતાં લીડ ઘટી શકેમનપાની આ ચૂંટણીમાં નવી વોર્ડ રચના છે. વોર્ડમાં ઘણા વિસ્તારોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બીજુ કે ગામડાના ઉમેદવારો પણ ભળ્યા છે. નવા ભળેલા વિસ્તારના લોકોના મત મેળવવા ભાજપ માટે પડકાર રૂપ રહેશે. બીજુ કે ઉમેદવારોને પ્રચાર માટે વધુ સમય નહી મળે આથી નવા મતદારો સુધી ઉમેદવારો પહોચી શકશે કે નહી તે પણ એક સવાલ છે. ભાજપમાં સૌથી વધુ નવા ઉમેદવાર આવશે તો મતદારો નવા ઉમેદવારને સ્વીકારે છે કે નહી તે મોટો સવાલ છે. બીજી બાજુ કોંગ્રેસ અને આપ બંનેએ આ મનપાની ચૂંટણીમાં ઝંપલાવ્યુ છે, જેને કારણે મતોનું વિભાજન થશે અને તેને કારણે વિજેતા ઉમેદવારની થોડી લીડ ઘટી શકે છે. > કે.સી.શાહ, પૂર્વ સદસ્ય આપના ઉમેદવારો કોંગ્રેસના વધુ મત કાપશેવર્તમાન સમયે આપે જે તેના ઉમેદવારોની યાદી જાહેર કરી છે તેમાં જે ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા છે તે જોતા અને વોર્ડનો અભ્યાસ કરતા આપના ઉમેદવારો કોંગ્રેસના વધુ મત કાપે તેવી શકયતાઓ સેવાઇ રહી છે. જો આમ બને તો તેનો સીધો ફાયદો ભાજપને થઇ શકે છે. ફાઇનલ ઉમેદવારોને તૈયારીની ખાનગીમાં સૂચનાભાજપમાં ટીકીટ આપવાની કામગીરી ખુબ જ ગુપ્ત રાખવામાં આવે છે. બીજી બાજુ મનપાની ચૂંટણીમાં ઉમેદવારોનો રાફડો ફાટયો છે. ત્યારે ટીકીટની રાહ જોઇને બેઠેલા ઉમેદવારોમાંથી કોનુ પત્તુ કપાશે અને કોને ટિકિટ મળશે તેનું હજુ ભરેલુ નાળીયેર છે. કાર્ય કરો પણ અવઢવામાં મુકાઇ ગયા છે ત્યારે એક વાત એવી પણ આવે છે કે, ભાજપે જે લોકોને ટીકીટ આપવાની છે તેમને ખાનગીમાં તૈયારી કરવાની સુચના આપી દીધી છે. આવા કાર્યકરોએ પેપર વર્કની અંદરખાને તૈયારીઓ પણ કરવાની શરૂઆત કરી દીધી છે.
ખાડા બન્યા જોખમી:જોરાવરનગરમાં રસ્તામાં કરેલો ખાડો જોખમી, 1 જ દિવસમાં 2 વ્યક્તિ પડ્યા
સુરેન્દ્રનગરમાં વર્ષો પહેલા નાખવામાં આવેલી પાણીની લાઇન વારંવાર લીક થાય છે. જેના રિપેરીંગ પાછળ મનપાને મહિને 25 લાખથી વધુનો ખર્ચ થાય છે. લાઇન રિપેરીંગ માટે ખોદવામાં આવતા ખાડા યોગ્ય રીતે પૂરવામાં ન આવતા લોકો માટે જોખમી બની જાય છે. ત્યારે જોરાવરનગર ધારાસભ્યની ઓફિસથી માત્ર 60 ફૂટ દૂર નવા જ બનાવેલા ડામરના રસ્તા ઉપર લાઇન રિપેરીંગ માટે ખાડો ખોદવામાં આવ્યો હતો. જેમાં પડી જવાને કારણે 2 વ્યક્તિને ઇજા થઇ હતી. સુરેન્દ્રનગર મનપા દ્વારા વાળીનાથ સર્કલથી જોરાવરનગર તરફ જતા રતનપર ફાટક સુધી 15 બાઈક સ્લિપ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. દિવસ પહેલા જ નવો ડામરનો રોડ બનાવવામાં આવ્યો છે. નવો રસ્તો બનતા લોકોને રાહત થઇ હતી. પરંતુ પાણીની લાઇન લીક થતા રસ્તા ઉપર મોટો ખાડો કરીને લાઇન રિપેરીંગની કામગીરી તો કરવામાં આવી હતી. પરંતુ યોગ્ય પુરાણ ન કરાતાઆ ખાડો લોકો માટે જોખમી બની ગયો અને 2 વ્યક્તિને ઇજા પણ થઇ હતી. એક ભાઇનું માથુ ફાટી ગયું ને એકને પગમાં ઇજા થઇ અમે રાત્રીના સાડા નવ વાગ્યાના અરસામાં બધા મિત્રો બેઠા હતા. રોડ ઉપર સવારે ખાડો ખેદેલો હતો. રાત્રીના સમયે લાઇટ ન હતી. ત્યારે કંસારા સમાજના વ્યકિત ખાડાને કારણે બાઇક સાથે પડી ગયા તેમને માથામાં ઇજા થઇ હતી લોહી નિકળતું હતું. અમે બાજુમાં આવેલી હોસ્પિટલે લઇ ગયા હતા. જેના થોડા સમય બાદ જ મંદિરના પૂજારી પણ પડી ગયા હતા. તેમને પગના ભાગે ઇજા થઇ હતી. - ધર્મેન્દ્રભાઈ રાઠોડ
વઢવાણ શહેરમાં પ્રાચીન વાઘેશ્વરી માતા મંદિર 45મો પાટોતસ્વ સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં સોનાના સિંહાસને બિરાજમાન વાઘેશ્વરી માતાજીને 200 તોલા સોનાના આભૂષણોનો શણગાર કરાયો હતો. માતાજીના દર્શન માટે રાજ્યભરમાંથી 5 હજારથી વધુ ભક્તોએ 150 મણ શુધ્ધ ઘીના લાડુનો પ્રસાદ લીધો હતો. વઢવાણના ઐતિહાસિક વાઘેશ્વરી માતાજીનું શિખરબંધ મંદિરમાં 44 વર્ષથી પાટોત્સવ વિશા શ્રીમાળી સોની ટ્રસ્ટ દ્વારા તથા વાઘેશ્વરી યુવા ગ્રુપ દ્વારા થાય છે. ત્યારે આ વર્ષે પણ તારીખ 4 એપ્રિલ રવિવારના રોજ વાઘેશ્વરી માતાજીના 45મા પાટોત્સવનું આયોજન કરાયું હતું. પગપાળા યાત્રાળુઓના સંઘો શનિવારના રોજ વઢવાણ આવી પહોચ્યા હતા. શનિવારે પગપાળા યાત્રાળુઓના સંઘની શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી ત્યારે જય વાઘેશ્વરી માતાના નાદ ગુંજ્યો હતો. વઢવાણ વાઘેશ્વરી માતા સોનાના સિંહાસન પર બિરાજમાન છે. જ્યારે માતાજીના સિંહને પણ સોનાથી મઢી દેવામાં આવ્યો છે. વાઘેશ્વરી માતાના પાટોત્સવ નિમિતે આશરે 200 તોલા સોનાના આભૂષણોનો શણગાર કરવામાં આવ્યો હતો. તેમાં 100 તોલા માતાજીનો શણગાર હતો. જેમાં હાર, કડલા, ચૂક, ઝાંઝર વગેરેના શણગારના દર્શન માટે ભકતો ઉમટી પડયાં હતા. વઢવાણ વાઘેશ્વરી ચોકમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 150 મણ ચોખ્ખા ઘીના લાડવાનો પ્રસાદ કરવામાં આવ્યો હોવાનું ભક્તોએ જણાવ્યું હતું. વાઘેશ્વરી માતાજીના પાટોત્સવ પ્રસંગે ધ્વજારોહણ, યજ્ઞ, મહાઆરતી, માતાજીના શણગારના દર્શન વગેરે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડીસા શહેરમાંથી ગુજરાત એટીએસ અને બનાસકાંઠા એસઓજીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી પાકિસ્તાનની ગેંગનો વોન્ટેડ આરોપીને ઝડપી લીધો હતો. પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા આઇએસઆઇ સાથે જોડાયેલો અને પંજાબના ગ્રેનેટ હુમલા કેસમાં સંડોવાયેલો આરોપી બિક્રમજીતસિંહ છેલ્લા 6 મહિનાથી ઓળખ છુપાવી ઢાબામાં કામ કરતો હોવાનું બહાર આવ્યું છે. સામાં સ્થાનિક સ્તરે મજૂરી કરી જીવન જીવતો શખ્સ આંતરરાષ્ટ્રીય આતંકી ગેંગ સાથે જોડાયેલો હોવાનું જાણવા મળતાં ડીસા શહેરમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. ગુજરાત એટીએસ અને બનાસકાંઠા એસઓજીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી પંજાબના ગ્રેનેટ હુમલા કેસમાં વોન્ટેડ બિક્રમજીતસિંહને ડીસા હાઈવે પર એરપોર્ટ ચાર રસ્તા નજીક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પાસે આવેલા કોમ્પલેક્ષમાં ચાલતાં ઢાબામાંથી ઝડપી પાડયો હતો. આરોપી છેલ્લા લગભગ છએક મહિનાથી પોતાની ઓળખ છુપાવી ઢાબામાં મજૂરી કામ કરી રહ્યો હતો. પંજાબ પોલીસ તરફથી મળેલા ચોક્કસ ઇનપુટના આધારે ગુજરાત એટીએસએ ગુપ્ત તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ અલગ-અલગ ટીમો બનાવી બનાસકાંઠા એસઓજી સાથે સંયુક્ત ઓપરેશન ગોઠવી શુક્રવારે સાંજે રેડ કરીને આરોપીને ઝડપી લેવાયો હતો. ISI સાથે જોડાયેલ શહેઝાદ ભટ્ટી ગેંગનો સાગરીત પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે બિક્રમજીતસિંહ પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સી આઇએસઆઇ માટે કામ કરતી શહેઝાદ ભટ્ટી ગેંગ સાથે સંકળાયેલો છે. તે પંજાબમાં ગ્રેનેટ સપ્લાય કરવો, સ્થાનિક યુવકોને ગેંગમાં જોડવા તેમજ પોલીસ સ્ટેશન અને સુરક્ષા એજન્સીઓ પર હુમલાના કાવતરામાં સક્રિય ભૂમિકા ભજવતો હતો. આ કેસમાં અમૃતસર ખાતે ગુનો નોંધાયેલો છે અને અગાઉ પણ કેટલાક આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે. હવે ડીસામાંથી થયેલી આ ધરપકડને કારણે તપાસમાં નવી કડીઓ સામે આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ATS દ્વારા આરોપીની વધુ પૂછપરછ અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેને પંજાબ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
ભાસ્કર એનાલિસિસ:4.41 લાખ હેક્ટરમાં ઉનાળુ વાવેતર, 50%માં બાજરી
કૃષિ વિભાગે આ ઉનાળે ઉત્તર ગુજરાતની 4,28,164 હેક્ટર જમીનમાં વાવેતર થવાનો અંદાજ મૂક્યો હતો. તેની સામે અત્યાર સુધીની સિઝનમાં 4,41,530 હેક્ટર સાથે 103.12% વાવેતર થઇ ચૂક્યું છે. અરવલ્લી, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં અનુમાન કરતાં 1 થી 18 ટકા વધુ વાવેતર થઇ ચૂક્યું છે. પાક પ્રમાણે વાવેતરની સ્થિતિ જોઇએ તો 4,41,530 હેક્ટર પૈકી 2,18,908 હેક્ટરમાં બાજરીના પાકના વાવેતર થયું છે, જે કુલ વાવેતરનો 49.58 ટકા હિસ્સો છે. જ્યારે 1,51,328 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કરાયું છે, જે કુલ વાવેતરનો 34.27 ટકા હિસ્સો છે. ઉપરાંત મગફળીનું 37,126, શાકભાજીનું 18,427, મકાઈનું 3,916, મગનું 2,916, તલનું 2,129, ડાંગરનું 362 અને અન્ય પાકોનું 6,418 હેક્ટરમાં વાવેતર થયું છે. 6 જિલ્લામાં વાવેતર (હેક્ટર) મહેસાણા ડાંગરનો એકમાત્ર જિલ્લો: મહેસાણા જિલ્લામાં કુલ 46,959 હેક્ટરમાં વાવેતર થયું છે. નોંધપાત્ર બાબત એ છે કે, આ તમામ જિલ્લાઓમાં માત્ર મહેસાણામાં જ 362 હેક્ટરમાં ડાંગરનું વાવેતર જોવા મળ્યું છે. અહીં પશુપાલકોએ 28,293 હેક્ટરમાં ઘાસચારો વાવીને પશુ માટે આહારની વ્યવસ્થા કરી છે. પાટણમાં પશુ આહાર પર વધુ: પાટણ જિલ્લામાં 26,353 હેક્ટરમાં વાવેતર થયું છે. અહીંના ખેડૂતોએ સૌથી વધુ 17,160 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કર્યું છે, જ્યારે 7,738 હેક્ટરમાં બાજરીનું વાવેતર કર્યું છે. બનાસકાંઠા જિલ્લો વાવેતરનો ગઢ: બનાસકાંઠા જિલ્લો સમગ્ર ઉત્તર ગુજરાતમાં વાવેતરની દ્રષ્ટિએ મોખરે છે, જ્યાં કુલ 1,91,977 હેક્ટરમાં વાવણી થઈ છે. અહીં ખેડૂતોએ મુખ્યત્વે બાજરીનું 91,007 હેક્ટર અને ઘાસચારાનું 56,917 હેક્ટર પર સૌથી વધુ પસંદગી ઉતારી છે. આ ઉપરાંત, રોકડિયા પાક તરીકે 31,211 હેક્ટરમાં મગફળીનું વાવેતર કરી અગ્રેસરતા જાળવી રાખી છે. વાવ-થરાદ જિલ્લો બાજરીનું હબ: વાવ-થરાદ વિસ્તારમાં કુલ 1,26,624 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. આ પંથકમાં સૌથી વધુ 95,048 હેક્ટરમાં બાજરીનું વાવેતર થયું છે, જે સમગ્ર વિસ્તારમાં કોઈપણ એક પાક માટેનો સૌથી મોટો આંકડો છે. અહીં ઘાસચારાનું વાવેતર 30,598 હેક્ટરમાં નોંધાયું છે. સાબરકાંઠા: શાકભાજી અને વિવિધતા: સાબરકાંઠામાં કુલ 29,291 હેક્ટરમાં ખેતી થઈ છે. અહીં શાકભાજીનું વાવેતર 5,545 હેક્ટર સાથે અન્ય જિલ્લાઓની સરખામણીએ નોંધપાત્ર છે. આ ઉપરાંત ખેડૂતોએ મકાઈનું 1,629 હેક્ટર, મગનું 1,545 હેક્ટર અને મગફળી 2,152 હેક્ટર જેવા પાકોમાં પણ રોકાણ કર્યું છે. અરવલ્લી: મર્યાદિત વિસ્તારમાં સારી પ્રગતિ: અરવલ્લીમાં કુલ 20,326 હેક્ટરમાં વાવણી થઈ છે. જેમાં બાજરીનું 8,324 હેક્ટર અને ઘાસચારાનું 7,514 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. આ જિલ્લામાં શાકભાજીનું વાવેતર પણ 2,507 હેક્ટરમાં થયું છે.
મહેસાણા જિલ્લામાં નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન 10 તાલુકામાં કુલ 70,115 દસ્તાવેજ નોંધાયા છે. આ દસ્તાવેજો પરથી સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી પેટે સરકારને રૂ.418.85 કરોડની તોતિંગ આવક થઈ છે. જોકે, ગત વર્ષ 2024-25ની સરખામણીએ આ વર્ષે દસ્તાવેજ નોંધણીમાં 7 ટકાનો ઘટાડો નોંધાયો છે. પાછલા વર્ષે જિલ્લામાં 74,665 દસ્તાવેજ સામે રૂ.440.23 કરોડની આવક સરકારી તિજોરીમાં નોંધાઈ હતી. જિલ્લા સબ રજીસ્ટ્રાર કચેરીના આંકડા મુજબ, ચાલુ વર્ષ દરમિયાન નોંધાયેલા દસ્તાવેજોમાંથી નોંધણી ફી પેટે રૂ.60.02 કરોડ અને સ્ટેમ્પ ડ્યુટી પેટે રૂ.358.82 કરોડની આવક થઈ છે. જ્યારે ગત વર્ષમાં નોંધણી ફી પેટે રૂ.64.27 કરોડ અને સ્ટેમ્પ ડ્યુટી પેટે રૂ.375.94 કરોડની આવક થઈ હતી. આમ, એક વર્ષમાં 4,550 દસ્તાવેજ ઓછા નોંધાતા આવકમાં પણ ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા પાછળ એક કારણ, જંત્રી દરમાં વધારાના લીધે મોટા સોદામાં સ્ટેમ્પ ડ્યુટીનો ભાર વધતાં રજીસ્ટ્રેશન ધીમું પડ્યું હોવાનું મનાય છે. સબ રજીસ્ટ્રાર કચેરીના સૂત્રો મુજબ, દસ્તાવેજ નોંધણીમાં આવો ફેરફાર સામાન્ય અપ-ડાઉનનો ભાગ માનવામાં આવે છે. જિલ્લામાં જમીન, મકાન, પ્લોટના ખરીદ-વેચાણ અને મિલકત ફેરફારના સોદાઓમાં ગતિ લગભગ સ્થિર રહી છે. મહેસાણા મહાનગરપાલિકા બન્યા પછી પણ રહેણાંક તેમજ કોમર્શિયલ મિલકતોના સોદામાં મોટો ફેરફાર દેખાયા નથી. મહેસાણા-કડીમાં જ 60 ટકા દસ્તાવેજજિલ્લામાં થયેલા કુલ 70,115 દસ્તાવેજોમાંથી મહેસાણામાં 21,895 અને કડીમાં 20,083 મળી કુલ 41,978 દસ્તાવેજ માત્ર આ બે તાલુકામાં જ નોંધાયા છે. એટલે કે, સમગ્ર જિલ્લાના 60 ટકા દસ્તાવેજ આ બે તાલુકામાં જ થયા છે, જ્યારે બાકીના 8 તાલુકામાં મળીને 40 ટકા નોંધણી થઈ છે. જિલ્લામાં સૌથી ઓછા 1,143 દસ્તાવેજ સતલાસણામાં થયા, જેમાં રૂ.2.35 કરોડ આવક નોંધાઈ છે.
બાઇક ચોર ઝડપાયો:મહેસાણામાં ત્રણ બાઈક ઉઠાવનાર ઝડપાયો
મહેસાણા એલસીબીની ટીમે કલોલથી ત્રણ બાઇક ચોરી કરનાર શખ્સને ઝડપી ચોરીના ત્રણ બાઇક કબજે કર્યા છે. નંબર પ્લેટ વગરનું બાઈક લઈને પાલાવાસણા ચોકડીથી નાગલપુર તરફ આવી રહ્યો હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસે નાગલપુર ચાર રસ્તા પાસે વોચ ગોઠવી મૂળ વિજાપુરના ખરોડ ગામનો અને હાલ કલોલમાં રહેતો નીકુલ વિનોદભાઈ મકવાણાને પકડી પૂછપરછ કરી હતી. જેમાં બાઈક (GJ 18 DR 3541) ત્રણ વર્ષ પહેલાં કલોલમાંથી ચોર્યુ હતું. આ ઉપરાંત, તેણે કલોલમાંથી વધુ બે બાઇક ચોરી કરી તેના મિત્રોને સસ્તા ભાવે વેચી દીધા હતા. પોલીસે આ બંને બાઈક પણ શોધી કાઢીને ત્રણે બાઈક મુદ્દામાલ રૂપે જપ્ત કર્યા છે.
પક્ષીઓ માટે સેવા:રામોસણ ચોકડી ખાતે 1000 પાણીના કુંડા, 700 માળા સ્થાપિત
ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અબોલ પક્ષીઓ માટે માનવતા અને સેવાભાવનું સુંદર ઉદાહરણ મહેસાણાના રામોસણ ચોકડી ખાતે જોવા મળ્યું છે. પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રણજીત ઠાકોર દ્વારા આ વિસ્તારમાં પક્ષીઓ માટે 1000 પાણીના કુંડા અને 700 માળા સ્થાપિત કરવામાં આવ્યા છે. આ સેવાકાર્યમાં નવજીવન નિરાધાર સેવા ટ્રસ્ટનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો. ઉનાળામાં વધતી ગરમીને કારણે પક્ષીઓ માટે પાણી અને આશ્રયની તંગી સર્જાતી હોય છે, ત્યારે આ પ્રકારની પહેલ જીવદયાનું ઉત્તમ ઉદાહરણ બની છે. સ્થાનિક લોકોમાં પણ આ કાર્યને લઇને પ્રશંસા જોવા મળી રહી છે. પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળા મૂકાતા તેમને ગરમીમાં રાહત મળશે અને જીવ બચાવવા મદદરૂપ બનશે. સમાજમાં આવા સેવાભાવી કાર્યો વધુ લોકોને પ્રેરણા આપે તેવી લાગણી વ્યક્ત થઈ રહી છે.
ગાડીચાલકે એક્ટિવાને જોરદાર ટક્કર મારી:જોરણંગ રોડ પર અકસ્માતમાં જીઇબી કર્મચારીને ગંભીર ઇજા
નારદીપુર જીઈબીમાં નોકરી કરતા અને આંબલિયાસણ ગામના રહેવાસી હરેશજી બેચરજી ઠાકોર જ્યારે પોતાની ફરજ પૂરી કરી બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે જોરણંગ રોડ પર ગાડીચાલકે ટક્કર મારતાં ગંભીર ઇજા પહોંચી હતી. હરેશજી એક્ટિવા (GJ 02 AK 6055) લઈ જોરણંગ રોડ પર આવેલા હરીબા ફાર્મ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે સામેથી પૂરઝડપે આવી રહેલી ગાડી (GJ 38 BA 5404)ના ચાલકે તેમના એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં હરેશજીને ડાબા પગે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે તેઓ સ્થળ પર જ બેભાન થઈ ગયા હતા. અકસ્માત સર્જ્યા બાદ સેન્ટ્રો ગાડીનો ચાલક પોતાની ગાડી લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
ભાસ્કર એક્સક્લુસિવ:ESIC: મહેસાણાના 2 લાખ શ્રમિકોને જટીલ સારવાર માટે કલોલના ધક્કા
ઉત્તર ગુજરાતના ઔદ્યોગિક હબ ગણાતા મહેસાણા જિલ્લામાં હજારો શ્રમિકો દર મહિને પોતાની કમાણીમાંથી ESIC (કર્મચારી રાજ્ય વીમા નિગમ)માં નિયમિત ફાળો આપે છે. છતાં તંત્રની અતિ જટિલ કાગજી પ્રક્રિયા અને વહીવટી અવરોધોને કારણે જરૂરિયાત સમયે મોટાભાગના દર્દીઓ આ હકની સુવિધાનો ઉપયોગ જ ટાળી રહ્યા છે. ઉદ્યોગોનો વ્યાપ હોવા છતાં ESICની મુખ્ય હોસ્પિટલ કલોલમાં હોવાને કારણે સ્થાનિક શ્રમિકોને ઈમરજન્સીમાં ભારે હાલાકી ભોગવવી પડે છે. શ્રમિકો માટે સૌથી મોટી મુશ્કેલી કાગળિયા પ્રક્રિયા બની છે. ઓનલાઇન પોર્ટલ પર આધારકાર્ડ લિંકિંગથી લઈને પરિવારની વિગતો અપડેટ કરવામાં એક અક્ષરની ભૂલ પણ ક્લેમ અટકાવી દે છે. તાત્કાલિક સારવારની સ્થિતિમાં પહેલા સ્થાનિક ડિસ્પેન્સરીમાંથી મેન્યુઅલ રેફરલ મેળવવા લાંબી લાઈનમાં ઊભા રહેવું પડે છે. ઘણા કિસ્સાઓમાં કંપનીના સિક્કા-સહી, હાજરી પુરાવા અને અન્ય દસ્તાવેજો એકઠા કરવામાં જ દિવસ વીતી જાય છે. આ જટિલતાના કારણે દૈનિક મજૂરી કરતા શ્રમિકો ખાનગીમાં સારવાર લેવાનું અનુકૂળ માને છે. મારા કામની વાત: શ્રમ મંત્રાલયને સીધી ફરિયાદ કરી શકાય છેજો શ્રમિકોને સુવિધા ન મળતી હોય, તો તેઓ CPGRAMS (pgportal.gov.in) પોર્ટલ પર શ્રમ મંત્રાલય સામે સીધી ફરિયાદ કરી શકે છે. આ ઉપરાંત, 'ચિંતા સે મુક્તિ' એપ દ્વારા પણ વિગતો સુધારી શકાય છે. સ્થાનિક સ્તરે પ્રાદેશિક નિયામકને લેખિત રજૂઆત કરી નાના સેન્ટરો પર લેબોરેટરી જેવી સુવિધાઓ વધારવા માંગ કરી શકાય છે, જેથી સ્ટાફનો ઉપયોગ થાય અને શ્રમિકોને કલોલ કે અમદાવાદ સુધી ધક્કા ન ખાવા પડે. દસ્તાવેજી ખામીને કારણે 18 થી 22% ક્લેમ રદ થાય છે નાના સેન્ટરોમાં સુવિધાનો અભાવનાના ESIC સેન્ટરોમાં એક્સ-રે, લેબોરેટરી અને અન્ય ટેસ્ટિંગ સુવિધાઓના અભાવે ડોક્ટરો પાસે પૂરતું કામ રહેતું નથી. બીજી તરફ મોટા ક્લેમ માટે જરૂરી તબીબી પ્રમાણપત્રો અને દસ્તાવેજો મેળવવામાં શ્રમિકોની કસોટી થાય છે. પરિણામે જિલ્લામાં નોંધાયેલા શ્રમિકોની સંખ્યા મોટી હોવા છતાં વાસ્તવિક લાભાર્થીઓનો આંકડો ખૂબ નીચો રહે છે. વિશેષજ્ઞોના મત મુજબ, જો સમગ્ર પ્રક્રિયાને પેપરલેસ, બાયોમેટ્રિક અને રિયલ-ટાઈમ ડિજિટલ વેરિફિકેશન આધારિત બનાવાય તો જ શ્રમિકોને તેમના ફાળાનું સાચું વળતર મળી શકશે.
મન્ડે ફોટો સ્ટોરી:મદનમોહન લાલજીની હવેલીનો કાયાકલ્પ : 70% કામ પૂર્ણ; 22 વિશાળ બારીઓથી ઝળહળશે મંદિર
મહેસાણા શહેરમાં હજારો વૈષ્ણવોની આસ્થાનું કેન્દ્ર એવી મદનમોહન લાલજીની હવેલી હાલ નૂતન સ્વરૂપ ધારણ કરી રહી છે. અંદાજે રૂ.5 કરોડના ખર્ચે આ પ્રાચીન હવેલીનો જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યો છે, જેની 70 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આગામી સમયમાં આ હવેલી આધુનિક સવલતો અને પરંપરાગત સ્થાપત્યનો અદભૂત સંગમ બની રહેશે. 68 વર્ષથી અવિરત સેવા: મુખ્યાજી મોહનલાલ જોશીનું સમર્પણઆ હવેલીની વિશેષતા તેના મુખ્યાજી પણ છે. છેલ્લા 68 વર્ષથી સેવામાં સમર્પિત મોહનલાલ વી. જોશી છેલ્લા 55 વર્ષથી મુખ્યાજી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. પરંપરાગત રીતે અહીં સાચોરા બ્રાહ્મણો દ્વારા જ સેવા પૂજા કરવામાં આવે છે, જે પેઢી દર પેઢી ચાલી આવે છે. પુષ્ટિ સંપ્રદાયની મર્યાદા અને બાલભાવની સેવામહેસાણાની આ હવેલીમાં શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુંસાઈજી દ્વારા સ્થાપિત સેવા પ્રણાલીનું ચુસ્ત પાલન થાય છે. અહીં બિરાજમાન શ્રી મદનમોહન લાલજીનું સ્વરૂપ અતિ પ્રાચીન અને વેણુધારી (વાંસળીધારી)છે, જેની સાથે બે સ્વામીનીજી પણ બિરાજમાન છે. આ સ્વરૂપ ગુંસાઈજીના પંચમલાલજી રઘુનાથજીના વંશજ જયદેવલાલજી મહારાજે સેવ્ય કર્યું હતું, જે હાલ પંચમગૃહ માથે બિરાજે છે. અહીં ઠાકોરજીની સેવા નંદબાબાના ઘરે જે રીતે શ્રીકૃષ્ણની સેવા થતી હતી તેવા જ બાલભાવથી કરવામાં આવે છે. 15 હજાર ચોરસફૂટમાં ભવ્ય નિર્માણ : કમલચોક અને સત્સંગ હોલ આકર્ષણનું કેન્દ્ર...
કટોસણ-સાંથલ રોડ પર અકસ્માત:માઇલસ્ટોન સાથે અથડાતાં બાઇકચાલક યુવાનનું મોત
જોટાણા તાલુકાના કટોસણથી સાંથલ તરફ જઈ રહેલા 30 વર્ષીય યુવાને બાઈક પરથી કાબૂ ગુમાવતાં માઇલસ્ટોન સાથે અથડાતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. કટોસણ ગામના રહેવાસી નરપતસિંહ ગણપતસિંહ ઝાલા (30 વર્ષ) પોતાનું બાઇક લઈને શનિવારે સાંજના સમયે કટોસણથી સાંથલ તરફ જઈ રહ્યા હતા. ત્યારે કટોસણ-સાંથલ રોડ પર ઈંટના ભઠ્ઠા સામે તેમનું બાઈક માઇલસ્ટોન સાથે અથડાઈ ગયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે નરપતસિંહને માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે પહેલા જોટાણાની ખાનગી હોસ્પિટલ, ત્યાર બાદ જોટાણા સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકનું પોસ્ટમોર્ટમ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ કટોસણ ગામના મૃતકના કાકા માલભા જાલમસિંહ ઝાલાએ સાંથલ પોલીસ સ્ટેશનમાં કરી હતી.
ભાસ્કર એનાલિસિસ:વેરા વસૂલાત 4% વધી : ગત વર્ષની સરખામણીએઉછાળો, નગરપાલિકાને રૂ. 23 કરોડની આવક થઈ
પાટણ નગરપાલિકાએ નાણાકીય વર્ષ 2025-26ના અંતિમ તબક્કે વેરા વસૂલાતનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો પાર કર્યો છે. પાલિકાની તિજોરીમાં 23.13 કરોડની રેકોર્ડબ્રેક આવક થઈ છે, જે ગત વર્ષની સરખામણીએ 4 ટકાનો ઉછાળો આવ્યો છે. કરદાતાઓએ ભરેલા આ કરોડો રૂપિયાનો ઉપયોગ શહેરના વિકાસ પાછળ થશે. જેમાં મુખ્યત્વે બાકી બિલ ચુકવણી સાથે સ્વચ્છતા અને પાણી લક્ષી સુવિધામાં વધારા સાથે શહેરના અંધારા વાળા વિસ્તારોમાં નવીન સ્ટ્રીટ લાઈટો પાછળ ખર્ચાશે. લાંબા સમયથી પડતર એવા વીજ કંપનીઓના બાકી બિલોની ચુકવણી આ રકમમાંથી કરવામાં આવશે, જેનાથી શહેરની સ્ટ્રીટ લાઈટો બંધ થવાની સમસ્યા કાયમી ધોરણે દૂર થશે. આ ઉપરાંત, પાલિકાના કર્મચારીઓના પગારના પ્રશ્નો ઉકેલાતા વહીવટી કામગીરીમાં ગતિ આવશે. શહેરના મુખ્ય માર્ગો અને સોસાયટી વિસ્તારોમાં નવી સ્ટ્રીટ લાઈટો નાખવા, સફાઈ માટેના નવા સાધનો અને ટ્રેક્ટરોની ખરીદી તેમજ પાણી પુરવઠાની લાઈનોના મેન્ટેનન્સ માટે ભંડોળ વાપરવાનું આયોજન છે. ચોમાસા પૂર્વે ડ્રેનેજ અને ગટર લાઈનની સફાઈની સુવિધા મજબૂત બનાવાશે. ચાલુ વર્ષની રિકવરી 74% થી વધુ, જૂના 26.43 કરોડના વેરા હજુ બાકી છે. બાકીદારોને સીલનો ડરથી વસૂલાતવેરા વસૂલાત માટે ચીફ ઓફિસર હિરલ ઠાકરે સાથે ટીમ લઈ વર્ષોથી બાકી રહેલા મોટા બાકીદારોની યાદી બનાવી બે તબક્કામાં સીલની કાર્યવાહી થતાં શહેરભરમાં અસર જોવા મળી હતી. બાકીદારમાં ભય અને સતર્કતા વધતા વેરા ભરપાઈ કરવા લાગ્યા હતા. સાથે સ્વચ્છતા શાખાની નવી પહેલરૂપે સમયસર વેરા ભરપાઈની પાવતી બતાવનારને નિઃશુલ્ક બે ડસ્ટબિન આપવાની યોજના પણ અસરકારક સાબિત થઈ છે. કડક કાર્યવાહી સાથે પ્રોત્સાહન બન્ને રીતો સાથે કરેલા ટીમ વર્કના સંયોજનથી પાલિકાની આવકમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. વેરો ભરનારને વધારાના ચાર્જમાંથી મુક્તિ
અધૂરી કામગીરીથી લોકો થયા પરેશાન:સંડેર-હમીદપુર રોડના અધૂરા કામથી ધારપુર હોસ્પિટલ જવા 8 કિમી ધક્કો
પાટણ તાલુકાના સંડેરથી હમીદપુરને જોડતા માર્ગની કામગીરી શરૂ થયા બાદ અટકી જતા ધારપુર જવા માટે રણુંજ સુધી લાંબા થવાની ફરજ પડી રહી છે.આ રોડ ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલને જોડતો મુખ્ય ટૂંકો માર્ગ હોવા છતાં નાળાના કારણે અનેક લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પાટણ સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી.પરંતુ આજદિન સુધી જોબ નંબર ફાળવવામાં આવ્યો નથી તેવું પાટણ તાલુકા પંચાયતના પૂર્વ ન્યાય સમિતિ ચેરમેન નરેશભાઈ પરમારે જણાવ્યું હતું. સંડેર ગામના વિમલ પટેલે જણાવ્યું હતું કે સંડેર ગામમાં જ્યારે પણ મેડિકલ ઈમરજન્સી કે અન્ય કામ અર્થે ધારપુર જવાનું થાય ત્યારે વાયા રણુંજ થઈને લાંબો રૂટ લેવો પડે છે. સંડેરથી રણુંજ થઈને ધારપુરનું અંતર 18 કિમી જેટલું થાય છે.જો સંડેર-હમીદપુર રોડ તૈયાર થઈ જાય, તો આ અંતર ઘટીને માત્ર 10 કિમી રહી જાય તેમ છે. આમ, માત્ર એક રોડના અભાવે દર્દીઓને લાવતી એમ્બ્યુલન્સ કે ખાનગી વાહનોએ 8 કિમીનો વધારાનો ફેરો ખાવો પડે છે. હમીદપુરના કિરણસિંહ ઠાકોરે જણાવ્યું હમીદપુરના ખેડૂતોના ખેતરો આ નાળાની સંડેર બાજુ હોય તેમને ખેતરમાં ટેક્ટર લઈ જવા માટે અને ઉપજ લેવા માટે રણુંજ સુધી લાંબુ થવું પડે છે.
જીવદયાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ:પાટણમાં ક્રિષ્ના ગ્રુપ દ્વારા ચૈત્રમાં 1100 શ્રીફળનું કીડિયારું બનાવાયું
સેવા એ જ પરમો ધર્મના સૂત્રને સાર્થક કરતા ક્રિષ્ના ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ક્રિષ્ના ગ્રુપ દ્વારા ચૈત્ર માસ નિમિત્તે જીવદયાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ઉનાળાની શરૂઆત અને ચૈત્ર માસના પવિત્ર દિવસોમાં મૂગા જીવોની જઠરાગ્નિ ઠારવા માટે ગ્રુપ દ્વારા કુલ 1100 જેટલા કીડિયારું પૂરવાનું આયોજન કરવામાં આવ્યું છે. પાટણ શહેરની ગોપાલક હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ અને ક્રિષ્ના ગ્રુપના 150 થી વધુ યુવાનો દ્વારા આ જીવદયા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. શાસ્ત્રોક્ત માન્યતા મુજબ,ચૈત્ર મહિનોએ કીડીઓ માટે આખા વર્ષનો ખોરાક સંગ્રહ કરવાનો સમય હોય છે.આ બાબતને ધ્યાને રાખીને સંસ્થા દ્વારા ખાસ પ્રકારનું મિશ્રણ પણ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં 100 ગ્રામ બાજરીનો લોટ,100 ગ્રામ ભાખરીનો લોટ,200 ગ્રામ બૂરું ખાંડ,25 ગ્રામ સફેદ તલ અને 50 ગ્રામ ઘી નું મિશ્રણ કરી પૌષ્ટિક કીડિયારું બનાવવામાં આવ્યું છે. શહેરની વિવિધ સોસાયટીઓ, પોળો, ગલીઓ તેમજ પાટણ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ કીડીયારું પહોંચે તેવું આયોજન પણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે.ખાસ કરીને ઘટાદાર વૃક્ષોની નીચે જ્યાં પોચી માટી હોય ત્યાં આ યુવાનો દ્વારા કીડિયારું પૂરવામાં આવી રહ્યું છે. ક્રિષ્ના ગ્રુપના પ્રમુખ કિરણ દેસાઈએ જણાવ્યું હતું કે ગત વર્ષની સફળતા બાદ આ બીજા વર્ષે પણ મોટા પાયે આયોજન કરાયું છે. આ કાર્યમાં દાતાઓના સહયોગથી લાખો કીડીઓને આહાર પૂરો પાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવી છે કે દરેક નાગરિક પોતાના ઘર આંગણે પક્ષીઓ માટે ચણ અને કીડીઓ માટે કીડિયારું પૂરીને આ ઉનાળામાં જીવદયાનું પુણ્ય કમાય.
ચકલીઘર અને કુંડાનું વિતરણ કરાયું:પાટણમાં મારું પણ ઘર હોય અભિયાન હેઠળ 3 હજાર ચકલીઘર,કુંડાનું વિતરણ
પાટણ શહેરના નવા બસ સ્ટેશન આગળ મહારાણા પ્રતાપ સેવા ગ્રૂપ દ્વારા 3 હજાર ચકલીમાળા અને કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકો માળા અને કુંડા લેવા ઉમટ્યા હતાં. સિમેન્ટ-કોંક્રિ ટના જંગલો અને આધુનિક લાઈફસ્ટાઈલ વચ્ચે આંગણાની ચકલીઓ લુપ્ત થઈ રહી છે.ત્યારે બનાસકાંઠાના મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા ચકલીઓને બચાવવા માટે પાટણના નવા બસ સ્ટેન્ડ ખાતે 1500 ચકલીઘર અને 1500 કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું. વર્ષ 2021થી વડગામથી શરૂ થયેલું આ અભિયાન હવે 2026માં વટવૃક્ષ બન્યું છે.સંસ્થા દ્વારા 18 તાલુકાઓમાં 40 હજાર ચકલીઘર અને કુંડાનું વિતરણ કરવાનું લક્ષ્યાંક છે. સંસ્થાના ભૂપતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.કે અત્યાર સુધી અમીરગઢ,સિદ્ધપુર, અમદાવાદ અને થરાદ જેવા શહેરોમાં આ સેવાયજ્ઞ પહોંચ્યો છે.આ સેવા થી અનેક ચકીલોનો બચી છે. તેવા સંસ્થાને અત્યાર સુધીમાં લોકો તરફથી 1હજાર થી વધુ વીડિયો મળ્યા છે.આમ આ સેવાયજ્ઞ જનજન સુધી પહોંચ્યો છે.આજના કાર્યક્રમમાં કેસી.પટેલ, નંદાજી ઠાકોર,મનોજ પટેલ ભૂપતસિંહ વાઘેલા,જકશીજી ઠાકોર હાજર રહ્યા હતા. ચકલીઘર અને કુંડાનું વિતરણ કરાઈ રહ્યું છે.તસવીર ભાસ્કર
ભાસ્કર એનાલિસિસ:હિંમતનગરના વોર્ડ 3માં સૌથી વધુ અને વડાલીના વોર્ડ 2માં સૌથી ઓછા મતદારો
26 એપ્રિલના રોજ સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર, ઈડર અને વડાલી નગરપાલિકામાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી વિભાગ દ્વારા આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. આ આંકડાઓ મુજબ, જિલ્લાની મુખ્ય ગણાતી હિંમતનગર નગરપાલિકામાં મતદારોનો દબદબો જોવા મળી રહ્યો છે, જ્યારે વડાલીમાં મતદારોની સંખ્યા તુલનાત્મક રીતે ઓછી છે. મતદાર યાદી મુજબ, સમગ્ર જિલ્લામાં જે ત્રણ નગરપાલીકાની ચૂંટણી યોજાવાની છે તેમાં હિંમતનગર નગરપાલિકાનો વોર્ડ નંબર 3 મતદારોની સંખ્યામાં મોખરે છે. આ વોર્ડમાં કુલ 8,327 મતદારો નોંધાયેલા છે, જેમાં 4,144 પુરુષો અને 4,183 સ્ત્રીઓનો સમાવેશ થાય છે. આ વોર્ડમાં સ્ત્રી મતદારોની સંખ્યા પુરુષો કરતા વધુ છે. હિંમતનગરના જ વોર્ડ નં. 11 માં પણ 8,145 જેટલા મતદારો છે. જિલ્લામાં સૌથી ઓછી વસ્તી ધરાવતા વોર્ડની વાત કરીએ તો, વડાલી નગરપાલિકાનો વોર્ડ નંબર 2 છેલ્લે આવે છે. અહીં કુલ માત્ર 2,378 મતદારો છે. આ ઉપરાંત ઈડર નગરપાલિકાના વોર્ડ નં. 7 માં પણ માત્ર 2,550 મતદારો જ નોંધાયા છે, જે હિંમતનગરના મોટા વોર્ડની સરખામણીએ ત્રીજા ભાગના છે. ત્રણ નગર પાલિકાના વોર્ડની વિગત
મતદારોનું સમીકરણ:જિલ્લા પંચાયતમાં સૌથી વધુ મતદાર બડોલી બેઠક પર અને સૌથી ઓછા દોલતાબાદમાં
સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી 26 એપ્રિલના રોજ યોજાવાની છે. જેમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે કુલ 917047 મતદારો મતદાન કરવાના છે, આ 34 બેઠકોમાં સૌથી વધુ મતદારો ધરાવતી બેઠક ઇડર તાલુકાની બડોલી છે. જેમાં 41657 મતદારો છે જયારે તલોદ તાલુકાની દોલતાબાદ બેઠક ઉપર સૌથી ઓછા મતદારો 29652 છે. સીમાંકનના આંકડાઓ જોતા, ઇડર તાલુકાની બડોલી બેઠક સૌથી વધુ વસતી ધરાવતી બેઠક તરીકે ઉભરી આવી છે. બડોલી બેઠકની કુલ વસતી 41657 નોંધાઈ છે, જે નિર્ધારિત સરેરાશ કરતા 20.28% વધારે છે. આ બેઠકમાં બડોલી, ચિત્રોડા, ગાંઠિયોલ, મોટા કોટડા અને પોશીના જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. બીજી તરફ, તલોદ તાલુકાની દોલતાબાદ બેઠક અને ખેડબ્રહ્માની ખેડવા જેવી બેઠકોમાં વસતીનું પ્રમાણ તુલનાત્મક રીતે ઓછું જોવા મળે છે. દોલતાબાદ બેઠકની કુલ વસતી 29652 છે. વડાલી તાલુકાની મહોર બેઠકની વસતી 32671 અને ઇડરની કડિયાદરા બેઠકની વસતી 31385 છે. કુલ 34 બેઠકો પૈકી અનામત બેઠકોની ફાળવણી વસતીના આધારે કરવામાં આવી છે.
વડોદરા જિલ્લો ડેસર ગામમાં 8 માસના માસૂમ બાળકના કાનમાંથી અચાનક જીવતી ઈયળો નીકળવાનું શરૂ થતાં પરિવારના જીવ તાળવે ચોંટ્યા હતા. ખાનગી હોસ્પિટલમાં સુધારો ન જણાતા અંતે બાળકને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તબીબો તેની સઘન તપાસ કરી રહ્યા છે. ડેસર ગામના રહેવાસી તોસીફભાઈ ઘાંચીના 8 માસના પુત્રને શનિવારે સાંજે અચાનક જમણા કાનમાં તકલીફ થઈ હતી. જોતજોતામાં કાનમાંથી જીવતી ઈયળો બહાર આવવા માંડતા પરિવારજનો ગભરાઈ ગયા હતા. ઈયળોની સાથે લોહી પણ નીકળતું હોવાથી બાળકની હાલત ગંભીર જણાતી હતી. ગોધરા સિવિલ હોસ્પિટલના તબીબોએ પ્રાથમિક તપાસ બાદ જણાવ્યું છે કે બાળકના કાનમાં હજુ પણ ઈયળો અને તેના ઈંડા હોવાની શક્યતા છે. અત્યાર સુધીમાં ચારથી વધુ ઈયળો બહાર કાઢવામાં આવી છે. બાળકની સ્થિતિ હાલ સ્થિર છે સોમવારના રોજ એન્ડોસ્કોપી સહિતના જરૂરી રિપોર્ટ્સ કરાશે, ત્યાર બાદ જ કાનમાં કેટલી ઊંડે સુધી સંક્રમણ છે તેની ચોક્કસ માહિતી મળી શકશે.- સિવિલ હોસ્પિટલ તબીબી ટીમ અમોને ઘટનાની જાણ થતાં જ દોડ્યાઅમે તાત્કાલિક ડેસર અને ત્યારબાદ ગોધરાની ખાનગી હોસ્પિટલમાં દોડી ગયા હતા. જોકે, ત્યાં પૂરતો આરામ ન મળતા અને સતત ઈયળો નીકળવાનું ચાલુ રહેતા અમે બાળકને ગોધરા સિવિલ હોસ્પિટલ લાવ્યા છીએ. - તોસીફભાઈ, બાળકના પિતા
સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં અને માનવતાના કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા મોરબીના‘યંગ ઇન્ડિયા ગ્રુપ’એ ફરી એકવાર છેવાડાના માનવીની મદદ કરી છે. હાલમાં બદલાતા વાતાવરણ અને મચ્છરજન્ય રોગોના વધતા જતા પ્રકોપને ધ્યાને રાખીને, સંસ્થા દ્વારા શહેરના પછાત વિસ્તારોમાં વ્યાપક સ્તરે ‘આરોગ્ય રક્ષણ અભિયાન’ છેડવામાં આવ્યું છે. મોરબીના રબારીવાસ, વણકરવાસ અને વાલ્મિકીવાસ જેવા શ્રમિક વિસ્તારોમાં બીમારીનું પ્રમાણ ન વધે તે હેતુથી ગ્રુપના સભ્યો દ્વારા આધુનિક ફોગિંગ મશીનો વડે દરેક ગલીઓ અને દરેક ઘરે-ઘરે જઈને સઘન ફોગિંગ કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય મચ્છરજન્ય જીવાતનો મૂળમાંથી નાશ કરી, ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને રોગમુક્ત અને આરોગ્યપ્રદ વાતાવરણ પૂરું પાડવાનો હતો. આ સેવાકીય પ્રકલ્પ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના સ્થાપક ડૉ. દેવેન રબારીએ જણાવ્યું હતું કે સમાજના છેવાડાના વિસ્તારોમાં રહેતા નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા એ જ અમારી પ્રાથમિકતા છે. બીમારી વળગ્યા પછી ઇલાજ કરવા કરતા, રોગચાળો ફેલાય જ નહીં તેવી તકેદારી રાખવી એ જ સાચું સામાજિક કાર્ય છે. મોરબીનો દરેક વિસ્તાર સ્વચ્છ અને દરેક નાગરિક રોગમુક્ત રહે તેવા વિઝન સાથે અમે આ કાર્ય કરી રહ્યા છીએ. આગામી દિવસોમાં પણ શહેરના અન્ય પછાત વિસ્તારોમાં આ કામગીરી અવિરત ચાલુ રાખવાનો સંકલ્પ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે.આ કાર્યને સફળ બનાવવા માટે સંસ્થાના ભાનુબેન નાગવાડીયા સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:બાટલાનો સમય 15 માંથી હવે 35 દિવસનો કરી નાખ્યો
અમેરિકા, ઇઝરાયેલ, ઈરાન વચ્ચેના યુદ્ધથી ગેસના બાટલાની કટોકટીની એવી આંધી ઉઠી છે કે, મોરબી જેવા ઔદ્યોગિક રીતે સમૃદ્ધ શહેરમાં સગડીઓ ઉપર રસોઈ કરવા કેટલીક ગૃહિણીઓને મજબૂર કરી દીધી છે. જો કે આ ગેસના બાટલાની અછતની હૈયાહોળી એક મહિના કરતા પણ વધુ સમયથી હોય, હવે સ્થિતિ વિકટ બની છે. ઘરે બેઠા આસાનીથી મળતા ગેસના બાટલા એજન્સીમાં ધક્કા ખાવા છતાં મળતા ન હોય, કેટલીક જગ્યાએ બાટલાના કાળા કારોબારનો ધીકતો ધંધો ચાલતો હોવાની ફરિયાદ ઉઠવા છતાં પુરવઠા વિભાગની કોઇ કારી ફાવતી ન હોઇ, પ્રજા વિના કારણે હેરાન થાય છે. રેસ્ટોરન્ટમાં મહીના 8થી વધુ બાટલા મળી જતા, હવે એક જ બાટલો મળે છે, સ્થિતિમાં કેટલીક હોટલ-રેસ્ટોરન્ટ, પાણી-પુરી જેવા ધંધાર્થીઓ, અમુક ગૃહિણીઓને કોલસાની સગડી પર રસોઈ કરવા મજબુર બનવું પડ્યું છે. બાટલા ન મળતા સગડીમાં રસોઈ ચાલુ કરીબાટલાના કોઈ ઠેકાણા જ નથી. મહિને એકવાર બાટલો મળતો હોય ત્યાં સુધી શેના ઉપર રાંધીને ખાવું ? મારા જેવી સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતી મહિલાઓને પરિવાર સાથે રોજેરોજ બે ટાઈમ બહાર હોટલ કે રેસ્ટોરન્ટમાં જમવું કોઈ કાળે પોસાય તેમ નથી. જો કે સગડી ઉપર રસોઈ બનાવી નથી. પણ હવે પરિસ્થિતિ એવી છે કે સગડી ઉપર રસોઇ બનાવીને ઘરના સભ્યોને જમાડું છું. જો કે કોલસાની સગડી પર રસોઈ બનાવવાથી ધુમાડાને કારણે આરોગ્યને નુકશાન થાય છે. > સીમાદેવી રાજપૂત 8 બાટલાની સામે મહિને એક જ બાટલો મળ્યોસામાન્ય સંજોગોમાં 8 થી 12 કોમર્શિયલ ગેસના બાટલા આસાની મળી જતા હતા. ગયા માર્ચ આખા મહિનામાં માત્ર એક જ બાટલો મળ્યો છે. બાટલા વગર તો રેસ્ટોરન્ટ કેવી રીતે ચલાવવી ? હાલ તમામ રસોઈ કોલસાના સગડી પર જ બનાવવી પડે છે. > દીપ કંસારા, રેસ્ટોરન્ટ માલિક પાણીપૂરીની સામગ્રી સગડી પર બનાવીએ છીએપાણીપુરીની રેકડી ચલાવીને અનેક લોકો ગુજરાન ચલાવે છે. ગેસનો બાટલો ન મળતો હોવાથી પુરી બનાવવી, ચણા, બટેટા બાફવા, રગડો બનાવવો વગેરે સામગ્રી સગડી પર જ બનાવીએ છીએ. ગેસ કરતા કોલસો મોંઘો પડે છે. છતાં ધંધો ચાલુ રાખવા કરવું પડે છે. > માંગીલાલ કુમાર, પાણીપુરીના ધંધાર્થી બાટલાનો સમય 15 માંથી હવે 35 દિવસનો કરી નાખ્યોચા બનાવવાનો નાના પાયે વેપાર કરી ઘરનું ગુજરાન ચલાવું છે. પહેલા 15 દિવસે બાટલો મળતો. હવે 35 દિવસ કરી નાખ્યા છે. 35 દિવસે બાટલો મળે તો ચા નો ધંધો કઈ રીતે ચાલે ? મોટા ખર્ચા પોસાય એમ ન હોય જ્યાં ત્યાંથી ગેસનો બાટલો માંગીને માંડ ધંધો ચલાવું છું. > જવાહર ભાઇ મીના, ચાના ધંધાર્થી
મોડાસા તાલુકાના બામણવાડ ગામે 05/04/2026 ને રવિવારના પવિત્ર દિવસે પૂજ્ય શ્રી રામજીબાપા (ધોલવાણી)ના સાનિધ્યમાં એક ભવ્ય સત્સંગ મેળાવડાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સત્સંગનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યર્થ વાતો કરવાને બદલે આત્મામાં સ્થિર થવાનો અને તેના ઉત્થાનનો હોવો જોઈએ એમ બાપજીએ જણાવ્યું હતું આ ધાર્મિક પ્રસંગે અન્ય સંતો-મહંતો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સત્સંગ દરમિયાન શ્રીમદ્દ રામજીબાપા, શ્રીમદ્ નાથુબાપા, શ્રીમદ્ જેશીગબાપા અને શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના પવિત્ર બોધ વચનોનું પાન કરાવતા પૂજ્ય શ્રી રામજીબાપાએ પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આપણે સત્સંગમાં આત્માના કલ્યાણ માટે આવ્યા છીએ, માટે અહીં બેસીને કોઈ વ્યર્થ વાતો કે કથાઓ કરવાને બદલે આત્મામાં સ્થિર થવા પર ભાર મૂકવો જોઈએ. સત્સંગ એ માત્ર આત્માના ઉત્થાન માટે છે અને અહીં મુમુક્ષુ જેવા ભાવ રાખે તેવું જ ફળ તેને પ્રાપ્ત થાય છે. વધુમાં તેમણે જીવનની નશ્વરતા સમજાવતા કહ્યું હતું કે, આ શરીર નાશવંત છે પરંતુ આત્મા અમર છે. આ જીવે સૃષ્ટિ પરના તમામ જીવોને માતા-પિતા તરીકે જોયા છે. સમાજમાં જોવા મળતી શારીરિક અક્ષમતાઓ એ ઈશ્વર નિર્મિત નથી, પરંતુ જીવના પોતાના કર્મોનું જ ફળ છે. જો જીવ રાગ અને કશાયનો ત્યાગ કરે, તો તેને અધોગતિમાં લઈ જનાર કોઈ નથી. સાચી ભક્તિ એ માત્ર ભાવ જાળવવો તે જ છે. તેમણે મનુષ્ય અવતારનું મહત્વ સમજાવતા કહ્યું કે ડુંગરા જેટલા પુણ્ય ભેગા થાય ત્યારે જ આ અવતાર મળે છે, માટે આયુષ્ય પૂરું થાય તે પહેલાં જાગવાની જરૂર છે, કારણ કે અંત સમયે એક શ્વાસ પણ વધારાનો મળવાનો નથી. માયાના બંધનથી દૂર રહેવા અને આત્મભાવમાં સ્થિર થવાની શીખ આપતા પૂજ્ય બાપાએ જણાવ્યું કે દેહ ભાવ રઝળપાટ કરાવે છે, જ્યારે આત્મભાવ શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ અને વૈરાગ્ય આપે છે. ભગવાન તો માત્ર પ્રેમના ભૂખ્યા છે. માત્ર ભજન ગાવાથી કલ્યાણ થતું નથી, પરંતુ ભગવાનના બોધ મુજબ જીવન જીવવાથી ભવસાગર તરી જવાય છે. તેમણે પાંડવો જેવી અડગ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવા પર ભાર મૂકતા ઉમેર્યું કે જો તમે તમારી બધી જવાબદારી ભગવાનને સોંપી દો, તો તે તેને ઉપાડવા તૈયાર છે. અંતમાં તેમણે જણાવ્યું કે ગુરુ વગરની ભક્તિ અભિમાન તરફ દોરી જાય છે, પરંતુ જો સદગુરુની આજ્ઞા મુજબ જીવન જીવવામાં આવે તો જીવનું ચોક્કસ કલ્યાણ થાય છે. આ સત્સંગનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
અરવલ્લી જિલ્લામાં આગામી યોજાનાર નગરપાલિકા અને તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયત ની સામાન્ય ચૂંટણીઓને અનુલક્ષીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. આ સંદર્ભે કલેક્ટર સભાખંડ ખાતે અધિક જિલ્લા ચૂંટણી અધિકારીડી.વી.મકવાણાના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા નોડલ અધિકારીઓની એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. પોલિંગ સ્ટાફથી લઈને દિવ્યાંગોની સુવિધા અંગ ચૂંટણીમાં માનવીય અભિગમ અપનાવવા પર ભાર મૂકાયો કલેકટર કચેરી ખાતે મળેલી બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, એપ્રિલ–2026દરમિયાન યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આ ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે અત્યંત જરૂરી ગણાવી આ માટે તમામ વિભાગો દ્વારા સંકલન સાથે સમયબદ્ધ અને જવાબદારીપૂર્ણ કામગીરી કરવી અનિવાર્ય ગણાવી હતી તેમણે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આદર્શ આચારસંહિતાનો કડક અને અસરકારક અમલ સુનિશ્ચિત કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો. આ બેઠક દરમિયાન ચૂંટણી વ્યવસ્થાપનના વિવિધ પાસાઓ અંગે ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં વહીવટી અને સુરક્ષાના ભાગરૂપે મેનપાવર મેનેજમેન્ટ, ઈવીએમ (EVM) વ્યવસ્થાપન, મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ, પરિવહન અને સામગ્રી વ્યવસ્થાપન, ખર્ચ મોનિટરિંગ, ચૂંટણી નિરીક્ષકો સાથે સંકલન કાયદો અને વ્યવસ્થા જાળવવા સૂચવ્યું હતું.
LCBની કાર્યવાહી:લૂંટ-ધાડના ગુનાનો રૂ. 5 હજારનું ઇનામ ધરાવતો આરોપી ઝડપાયો
રાજકોટ રેન્જના નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપવા હાથ ધરાયેલી ઝુબેશમાં અરવલ્લી એલસીબીને સફળતા મળી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ લૂંટ અને ધાડના ગંભીર ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા અને આરોપી માટે પોલીસે જાહેર કરેલા રૂ. 5000નું ઈનામ ધરાવતા આરોપીને મેઘરજની ઉન્ડવા ચેકપોસ્ટ પાસેથી એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એચ. ઝાલાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. વી.જે. તોમર, વી.ડી. વાઘેલા, પી.પી. સોલંકી અને સ્ટાફના માણસો કાર્યરત હતા. દરમિયાન મેઘરજ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિશ્વદિપસિંહ મહાવિરસિંહને ખાનગી બાતમી મળી હતી કે રાજકોટ રેન્જના વોન્ટેડ આરોપી ડાલુરામ હાલુજી ગુર્જર (રહે. ભંભાણા, જિ. ભિલવાડા, રાજસ્થાન) મેઘરજથી સીમલવાડા તરફ જઈ રહ્યો હોવાની માહિતીના આધારે પોલીસે ઉન્ડવા ચેકપોસ્ટ પાસે કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો.
ભાસ્કર એનાલિસિસ:SIR : બોટાદના 11માંથી 7 વોર્ડમાં 1000થી 1500 મતદારો ઘટી ગયા
બોટાદમાં વર્ષ 2025માં યોજાયેલી મધ્યસ્થ ચૂંટણીમાં 31.17 ટકા નિરસ મતદાન થયું હતું. જેમાં 11 વોર્ડના 44માંથી 40 ભાજપના અને 4 કોંગ્રેસના સભ્યો જીત્યા હતા. આ અગાઉ વર્ષ 2022માં નગરપાલિકા સુપરસીડ જાહેર થઇ હતી. ત્યારે આ વખતની ચૂંટણીમાં 11,769 મતદાર SIRમાં ઘટ્યા છે. બોટાદ નગરપાલિકામાં આ વખતે પૂર્ણ શાસન હોવાથી ભાજપના કાર્યકરોએ ઉત્સાહપૂર્વક સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. આ અગાઉ વર્ષ 2025માં આયોજિત મધ્યસત્ર ચૂંટણીમાં 31.17 ટકા નિરસ મતદાન થયું હતું. બોટાદના 11 વોર્ડમાં 44માંથી 40 ભાજપના અને 4 સભ્યો કોંગ્રેસના હોવા છતા જે તે સમયે ભાજપ પક્ષમા અંદરે અંદરના જૂથવાદને લઈ શહેરના વિકાસ માટેની રૂપિયા 48.46 કરોડની ગ્રાટ ન વપરાતાં 30 જૂન 2022ના ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા બોટાદ નગરપાલિકા ને ગુજરાત નગરપાલીકા અધીનીયમ 1963ની કલમ 263(1) હેઠળ સુપરસીડ કરવામા આવી હતી. વર્ષ 2025ની મધ્યસત્ર ચૂંટણીમાં વોર્ડ નં.1, 7 અને વોર્ડ નં.9ની બે બેઠક બિનહરીફ જાહેર થઇ હતી. બોટાદમાં વર્ષ 2023માં 1,07,629 મતદાર નોંધાયા હતા. જેમાં SIRની કામગીરી સમયે 11,759 મતદારોનો ઘટાડો થતાં આ વખતે 95,860 મતદાર વોટિંગ કરશે. ગત વર્ષ 2025ની ચૂંટણીમાં માત્ર 31.17 ટકાના નિરસ મતદાન અને આ વખતે મતદારોમાં ઘટાડો થતાં ઉમેદવારોને મોટીમથામણ કરવી પડી શકે તેમ છે.
કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ મંદિર સાળંગપુર ધામમાં આસ્થાનો અનોખો દાખલો સામે આવ્યો છે, જ્યાં વીરનગરથી અશ્વો સાથે પગપાળા યાત્રા કરી 80 કિલો મીટરનું અંતર કાપીને ભક્તો સાળંગપુર સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે પહોંચ્યા હતા. સાથે અશ્વોને પણ કષ્ટભંજનદેવ ના દરબારમા દર્શન કરાવાતા આ યાત્રા ચર્ચાનો વિષય બની છે. વીરનગરથી ભક્તોએ અશ્વો સાથે પગપાળા યાત્રા શરૂ કરી 80 કિલોમીટરનું અંતર કાપીને સાળંગપુર મંદિર પહોંચ્યા હતા. 3 એપ્રિલના સાંજે લગભગ 5 વાગ્યે મહેન્દ્રભાઈ શાંતુભાઈ ધાધલ દ્વારા અશ્વો સાથે યાત્રાનો પ્રારંભ કરાયો હતો. સતત યાત્રા બાદ 4 એપ્રિલે રાત્રીના 8 કલાકે ભક્તો સાળંગપુર પહોંચી ગયા હતા. આ યાત્રા દરમિયાન અશ્વો સાથે અશ્વસવાર પણ જોડાયા હતા. કાઠીયાવાડી નસલના અશ્વોની વિશેષ ઓળખ છેતેમ જણાવાયુ હતુ. આ નસલના અશ્વો માત્ર અમુક વિસ્તારોમાં જ જોવા મળે છે, જેના કારણે આ યાત્રા વધુ અનોખી બની છે. ભક્તોએ આ અશ્વોને પણ ભગવાનના દર્શન કરાવવા મંદિર સુધી લાવ્યા હતા.સાળંગપુરનું કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર વિશ્વવિખ્યાત આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે, જ્યાં દેશ-વિદેશમાંથી ભક્તો દર્શનાર્થે આવે છે. અશ્વોને પણ મંદિર દર્શન કરાવી તમામ વિધિઓ પૂર્ણ કર્યા બાદ તેમને સુર ક્ષિત રીતે વાહન મારફતે પરત મોકલવામાં આવ્યા હતા તેમ અશ્વસવાર મહેન્દ્રભાઈ ધાધલ દ્વારા જણાવાયુ હતું.આ પ્રકારની અનોખી યાત્રા પહેલી વખત જોવા મળી છે. 3 એપ્રિલના રોજ સાંજે 5 વાગ્યે વીરનગરથી અશ્વો સાથે યાત્રાનો પ્રારંભ કરાવાયો હતો. જે 4 એપ્રિલે સાળંગ પુર પહોંચી હતી અને સવારે કષ્ટભંજનદેવ હનુમાનજીના દર્શનથી ધન્યતા અનુભવી હતી સાથે અશ્વોને પણ દર્શન કરાવ્યા હતા તેમ મહેન્દ્રભાઈ શાંતુભાઈ ધાધલે જણાવ્યું હતું. આ રીતે આ યાત્રા પાછળ દાદા પ્રત્યે રહેલી ભાવિકોની આસ્થા રહેલી છે.
માતાએ મોબાઈલ ફોન વધુ વાપરવા બાબતે ઠપકો આપતા મન પર લઈ ઘરેથી નીકળી ગયેલી ભાવનગર જિલ્લાની એક કિશોરીનું બોટાદ ચાઈલ્ડ હેલ્પલાઈન અને રેલવે પોલીસના સહયોગથી પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું છે. તંત્રની આ માનવીય અને ત્વરિત કામગીરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. ઘટનાની વિગત મુજબ, ગત 1 એપ્રિલના રોજ સાંજે બોટાદ રેલવે સ્ટેશન પર એક કિશોરી એકલી અને મુંઝવણમાં હોવાની જાણ એક જાગૃત નાગરિકે 1098 ચાઈલ્ડ હેલ્પલાઈન પર કરી હતી. માહિતી મળતા જ હેલ્પલાઈન ટીમે સ્થળ પર પહોંચી કિશોરીનું કાઉન્સિલિંગ કર્યું હતું. જેમાં જાણવા મળ્યું હતું કે, મોબાઈલ વાપરવા બાબતે માતાએ વઢતા તે માઠું લગાડીને ભાવનગરથી ટ્રેન પકડી બોટાદ અને ત્યાંથી સુરેન્દ્રનગર પહોંચી હતી, ત્યારબાદ ફરી પરત બોટાદ આવી હતી. ચાઈલ્ડ હેલ્પલાઈન ટીમે કિશોરી પાસેથી તેના પિતાનો સંપર્ક નંબર મેળવી તેમને જાણ કરી હતી. રાત્રિ દરમિયાન કિશોરીને સુરક્ષિત આશ્રય માટે 'સખી વન સ્ટોપ સેન્ટર' ખાતે રાખવામાં આવી હતી. બીજા દિવસે 2 એપ્રિલે રેલવે પોલીસ દ્વારા કિશોરીને બાળ કલ્યાણ સમિતિ (CWC) સમક્ષ રજૂ કરવામાં આવી હતી. સમિતિના સભ્યોએ કિશોરીને સોશિયલ મીડિયાના નુકસાન અને મોબાઈલના અતિરેક અંગે સમજાવતા તે પિતા સાથે ઘરે જવા સહમત થઈ હતી. જરૂરી આધાર પુરાવાઓની ખરાઈ કર્યા બાદ કિશોરીને તેના પિતાને સોંપવામાં આવી હતી. આ તકે બાળ કલ્યાણ સમિતિના ચેરમેન વિરેન્દ્રસિંહ મોરી, સભ્ય હિરેનભાઈ શાહ, સભ્ય મુકેશભાઈ ખોડદા, રેલવે પોલીસ વિભાગના હેડ કોન્સ્ટેબલ જયેન્દ્ર સિંહ મોરી, ગીતાબેન જોગરાજીયા, સચિવ સીડબલ્યુસી ગોરધનભાઈ મેર, બોટાદ ચાઇલ્ડ હેલ્પલાઈન કાઉન્સેલર મેહુલભાઈ સોનગરા, બોટાદ ચાઈલ્ડ હેલ્પલાઇન કેસ વર્કર મોનિલભાઈ આંબલીયા, સીડબલ્યુસી કર્મચારી દશરથભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.
મારામારી:બોટાદમાં રિક્ષાના ફેરા ભરવા બાબતે પિતરાઈ ભાઈઓ વચ્ચે મારામારી
બોટાદમાં સાળંગપુર ત્રણ રસ્તા પાસે રિક્ષામાં પેસેન્જર ભરવાના વારા બાબતે પિતરાઈ ભાઈઓ વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ અથડામણમાં એક યુવક, તેના ભાઈ અને માતાને લોખંડના પાઇપ તથા લાકડી વડે બેરહેમ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ બોટાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ઘટનાની વિગત મુજબ ફરિયાદી જયદીપભાઈ પ્રવીણભાઈ સોલંકી (ઉ.વ.19) ગત 2 એપ્રિલના રોજ પોતાના ગલ્લા પર હાજર હતા, ત્યારે તેનો મોટો ભાઈ પ્રદીપ રિક્ષામાં પેસેન્જર ભરી રહ્યો હતો. તે સમયે તેના કાકાનો દીકરો ઈશ્વર સોલંકી રિક્ષા લઈને આવ્યો હતો અને વારા વગર પેસેન્જર ભરવા બાબતે ઝઘડો શરૂ કર્યો હતો. આ વિવાદ વધતા ઈશ્વર, તેના પિતા ખોડીદાસભાઈ, ભાઈ ભરતભાઈ અને માતા લતાબેન હથિયારો સાથે ધસી આવ્યા હતા. આરોપીઓએ લોખંડના પાઇપ અને લાકડી વડે પ્રદીપ અને જયદીપ પર હુમલો કરી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. વચ્ચે છોડાવવા પડેલા તેમના માતા જયાબેનને પણ લતાબેને લાકડી વડે માર માર્યો હતો અને આરોપીઓએ તેમનો મોબાઈલ તોડી નાખ્યો હતો. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે બોટાદની સોનાવાલા હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગરની સર ટી.હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
વ્યારા ખાતે શ્રી રફ દાબુ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી કે.કે. કદમ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી ધોરણ 10 ની વિદ્યાર્થીની સુનંદા દિલીપભાઈ પાડવીને મંડળ દ્વારા રૂપિયા 5 લાખની વીમા રકમ અર્પણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીનીના પિતા સ્વર્ગીય દિલીપભાઈ મંગાભાઈ પાડવીનું માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન થતાં, તેના અભ્યાસમાં કોઈ વિઘ્ન ન આવે તે હેતુસર આ સહાય આપવામાં આવી છે. વ્યારા ના મંડળ દ્વારા વ્યારા ખાતે સંચાલિત કુલ 7 શાળાઓમાં આશરે 10000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. સંસ્થા દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે રૂપિયા 5 લાખનો અકસ્માત વીમો ઉતારવામાં આવે છે, જે માટે દર વર્ષે અંદાજિત ₹16 લાખનું પ્રીમિયમ સંસ્થા ભરે છે. આ યોજના હેઠળ કોઈપણ વિદ્યાર્થી અથવા તેના વાલીનું અકસ્માતમાં મૃત્યુ થાય તો પરિવારે આર્થિક સહાયરૂપે વીમાની રકમ મળે છે.આ ઘટનામાં વિદ્યાર્થીનીના પિતાના અવસાન બાદ તરત જ મંડળ દ્વારા વીમા રકમ અર્પણ કરી માનવતા અને શિક્ષણ પ્રત્યેની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજના સમયમાં જ્યાં અનેક સંસ્થાઓ નફાખોરી તરફ વળી રહી છે, ત્યાં આ પ્રકારનું સેવાકીય કાર્ય અન્ય સંસ્થાઓ માટે પ્રેરણાદાયક સાબિત થાય છે. આ વીમા રકમ મંત્રી મહેશ શાહ, સહમંત્રી દશરથભાઈ, ચેરમેન નેવિલ જોખી તથા આચાર્ય અપેક્ષાબેન દેસાઈના હસ્તે અર્પણ કરવામાં આવી હતી.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:પોરબંદર યાર્ડમાં કેરીની આવક ઘટી, 518 બોક્સ નોંધાયા
પોરબંદરના યાર્ડમાં કેસર કેરીની આવકમાં ઘટાડો થયો છે.અગાઉ કમોસમી વરસાદને લઈને કેરીની આવકમાં વધારો થયો હતો ત્યારે હવે ઘટાડો નોંધાયો હતો.યાર્ડમાં રવિવારે 518 બોક્સ કેરીની આવક થઈ હતી જેનો પ્રતિ બોક્સના રૂપિયા 1400 થી 1900 ભાવ બોલાયા હતા.પોરબંદરના યાર્ડમાં બરડા પંથકના આદિત્યાણા, બીલેશ્વર સહિતના ગામોમાંથી કેસર કેરીની આવક નોંધાઈ હતી. સમગ્ર રાજ્યના તલાલા ગીર,જૂનાગઢ તેમજ પોરબંદરના બરડા પંથકની કેરી માટે ખ્યાતનામ કહેવામાં આવે છે.પોરબંદરના બરડા પંથકમાં આવેલ કેરીના બગીચામાંથી ઉત્પાદિત થતી કેરી સમગ્ર દેશ ઉપરાંત વિદેશમાં પણ પ્રખ્યાત છે ત્યારે પોરબંદર જિલ્લામાં આ વર્ષે કેસર કેરીની આવક પણ વહેલી નોંધાઈ છે. બરડા ડુંગરમાં ચુનાના પથ્થરના પેટાળને લીધે કેરીના બગીચામાં આ ચુનાના પથ્થરના પેટાળની ગરમીને લીધે સિઝન કરતા વહેલા ફાલ લાગી જાય છે જેથી પોરબંદરમાં આ વર્ષે વહેલી કેરી પાકી છે.સમગ્ર રાજ્યમાં આવેલ વિવિધ માર્કેટયાર્ડમાંથી એકમાત્ર પોરબંદરના માર્કેટયાર્ડમાં સૌપ્રથમ કેરીની આવક નોંધાઈ છે. પોરબંદરના યાર્ડમાં શુકવારે એક જ દિવસમાં બીલેશ્વર, ખંભાળા, રાણાવાવ અને આદિત્યાણા પંથકના બગીચામાંથી 518 બોક્સ એટલે કે 5180 કિલો કેસર કેરીની આવક થઈ હતી.યાર્ડમાં આવક થયેલ કેરીના પ્રતિબોક્સના રૂ.1400 થી 1900 ભાવ બોલાયા હતા આવક ઘટતા પ્રતિ કીલોએ 20 થી 50 નો વધારો થયો પોરબંદરના યાર્ડમાં અગાઉ કેરીની આવકમાં વધારો થતાં જ ભાવમાં પણ ઘટાડો થયો છે.યાર્ડમાં કેરીની આવક વધતા પ્રતિકીલોએ રૂ.100 થી 150 ભાવ ઘટયા હતા.ત્યારે હાલ કેરીનો આવક ઘટતા જ કેસર કેરીના પ્રતિકીલોએ રૂપિયા 20 થી 50 નો ભાવ વધારો થયો હતો.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ઇરાનના દાવા સાથે જોડાયેલા રહ્યા. તેણે બે અમેરિકી હેલિકોપ્ટર પાડ્યા હોવાનો દાવો કર્યો. બીજા મોટા સમાચાર પાકિસ્તાનની ધમકી અંગે રહ્યા. ત્યાંના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે આ વખત કોલકાતા સુધી હુમલો કરશે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી આસામના હોજાઈમાં ચૂંટણી સભા કરશે. 2. રાહુલ ગાંધીના નાગરિકતા વિવાદ મામલે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં સુનાવણી થશે. કાલના મોટા સમાચારો 1. ઈરાને કહ્યું-બે અમેરિકી હેલિકોપ્ટર અને બે ટ્રાન્સપોર્ટ વિમાન તોડી પાડ્યા: રિપોર્ટમાં દાવો- અમેરિકાએ પોતે જ સળગાવી દીધા, ટેકનોલોજી ચોરી થવાનો ડર હતો ઈરાને દાવો કર્યો છે કે તેણે અમેરિકી રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન 2 હેલિકોપ્ટર અને 2 ટ્રાન્સપોર્ટ વિમાન તોડી પાડ્યા છે. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી ઈસ્ફહાનના દક્ષિણી વિસ્તારમાં કરવામાં આવી હતી, જ્યારે અમેરિકી સેના પોતાના પાયલોટને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી. IRGCનું કહેવું છે કે આ ઓપરેશન દરમિયાન તેણે 2 C-130 ટ્રાન્સપોર્ટ વિમાન અને 2 બ્લેક હોક હેલિકોપ્ટરને તબાહ કરી દીધા, જેનાથી અમેરિકી રેસ્ક્યુ મિશન નિષ્ફળ ગયું. બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે રેસ્ક્યુ ઓપરેશન સફળ રહ્યું છે અને પાયલોટને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. PM મોદી બોલ્યા- TMCના પાપોનો ઘડો ભરાઈ ગયો છે:એક ખાસ ધર્મના લોકો બંગાળમાં હિંદુઓનું રહેવું મુશ્કેલ કરી દેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પશ્ચિમ બંગાળના કૂચબિહારમાં એક ચૂંટણી સભામાં કહ્યું કે TMCના પાપોનો ઘડો ભરાઈ ગયો છે અને હવે જનતા પરિવર્તન ઈચ્છે છે. ચૂંટણી પછી ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી થશે, એક-એકનો હિસાબ લેવામાં આવશે. PM મોદીએ કહ્યું કે 1905માં ધાર્મિક શક્તિઓએ બંગાળમાં લાલ ઇશ્તેહાર બહાર પાડ્યો હતો, જેના પછી હિંદુઓનો નરસંહાર થયો હતો. TMC તે જ યાદ અપાવવા માગે છે. એક ખાસ ધર્મના લોકો બંગાળમાં હિંદુઓનું રહેવું મુશ્કેલ કરી દેશે. વડાપ્રધાને આરોપ લગાવ્યો કે TMC શાસનમાં લોકતંત્ર નબળું પડ્યું છે. બંધારણીય સંસ્થાઓની અવગણના કરવામાં આવી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. પાકિસ્તાનની ભારતને ધમકી- આગામી યુદ્ધ બોર્ડર સુધી સીમિત નહીં રહે:રક્ષા મંત્રીએ કહ્યું- અમે લોકો કોલકાતા સુધી પહોંચીશું, તેમના ઘરમાં ઘૂસીને માર મારીશું પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે શનિવારે સિયાલકોટમાં પત્રકારો સાથે વાત કરતા ભારતને ધમકી આપી છે. તેમણે કહ્યું કે જો ભારત કોઈ ફોલ્સ ફ્લેગ ઓપરેશન (છુપાઈને હુમલો) કરશે, તો આ વખતે સંઘર્ષ માત્ર સરહદ સુધી સીમિત નહીં રહે, પરંતુ કોલકાતા સુધી પહોંચી શકે છે. ખ્વાજા આસિફે દાવો કર્યો કે ભારત પોતાના લોકો અથવા કસ્ટડીમાં બંધ પાકિસ્તાનીઓનો ઉપયોગ કરીને ખોટો ડ્રામા રચવાની યોજના બનાવી રહ્યું છે. ગયા વર્ષની જેમ આ વખતે ભારતને વધુ શરમનો સામનો કરવો પડશે. આસિફે આગળ એ પણ કહ્યું કે મૃતદેહોને ક્યાંક રાખીને પાકિસ્તાન પર આતંકવાદનો આરોપ લગાવી શકાય છે, પરંતુ તેમણે આ દાવા માટે કોઈ પુરાવો આપ્યો નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 4. કોંગ્રેસે કહ્યું- આસામ CMની પત્નીના 3 પાસપોર્ટ:પૂછ્યું- ₹52000 કરોડ ક્યાંથી આવ્યા; હિમંતા વિદેશ ભાગી જશે, CMનો જવાબ- માનહાનિનો કેસ કરીશું કોંગ્રેસે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાની પત્ની રિન્કી ભુઈયાં સરમા પર બેવડી નાગરિકતાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ રવિવારે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે આસામના મુખ્યમંત્રીની પત્ની પાસે ત્રણ દેશો ઇજિપ્ત, એન્ટિગુઆ-બાર્બુડા અને UAEના પાસપોર્ટ છે. પવન ખેડાએ કોન્ફરન્સમાં ત્રણ પાસપોર્ટ પણ બતાવ્યા. તેમણે કહ્યું કે સરમાની રાજનીતિ મુસ્લિમો વિરુદ્ધ નફરત પર આધારિત છે, જ્યારે તેમની પત્ની પાસે બે મુસ્લિમ દેશોના પાસપોર્ટ છે. તેમણે આગળ કહ્યું કે હિમંતાની પત્ની 52 હજાર કરોડ રૂપિયાની અમેરિકી કંપનીની પણ માલિક છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ‘આ તો ટ્રેલર છે, પિક્ચર તો હજુ બાકી છે’:રાઘવ ચઢ્ઢાએ કહ્યું- એક જૂઠ્ઠાણાને 100 વાર બોલવાથી લોકો તેને સાચું ન માની લે, એટલે જ હું જવાબ આપી રહ્યો છું આમ આદમી પાર્ટી (AAP) સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે રાઘવ ચઢ્ઢાએ નવી પોસ્ટ શેર કરી છે. તેમાં તેમણે લખ્યું છે - મારા તે સહયોગીઓ માટે જેઓ મજબૂર થઈને વીડિયો જાહેર કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે રાઘવ ચઢ્ઢા સંસદમાં પંજાબના મુદ્દા ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા. તેમના માટે એક નાની ઝલક. કહાની હજી બાકી છે. ચઢ્ઢાએ વધુમાં લખ્યું - પંજાબ મારા માટે માત્ર એક વિષય નથી. આ મારું ઘર છે, મારું કર્તવ્ય છે, મારી માટી છે, મારો આત્મા છે. રાઘવે આ પોસ્ટ સાથે એક વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં તેમણે સંસદમાં પોતાની સ્પીચ બતાવી છે. આમાં ચઢ્ઢા પંજાબના મુદ્દા ઉઠાવતા સાંભળાય છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. પાકિસ્તાનની ગેંગનો વોન્ટેડ આરોપી ઝડપાયો:ISIનું કામ કરતી ગેંગમાં રહી ભારતમાં પોલીસ સ્ટેશન-સુરક્ષા એજન્સીના એકમો પર વિસ્ફોટ કરાવતો; ડીસાના ઢાબામાં મજૂરી કરતો હતો ગુજરાત ATS અને બનાસકાંઠા SOGએ સંયુક્ત ઓપરેશન કરીને પાકિસ્તાની ગેંગસ્ટર શહેઝાદ ભટ્ટી ગેંગના સભ્ય અને ભારતના પંજાબ રાજ્યના ગ્રેનેડ કેસમાં વોન્ટેડ બિક્રમજીતસિંઘની ડીસામાંથી ધરપકડ કરી છે. આરોપી ગ્રેનેડની સપ્લાય અને સુરક્ષા એજન્સીઓના એકમો ઉપર ગ્રેનેડ મારફતે વિસ્ફોટ કરાવવાનું કામ કરાવતો હતો. હાલ આરોપી કેટલાક સમયથી ડીસા ખાતે એક ઢાબામાં છૂટક મજૂરી કામ કરી રહ્યો હતો. આરોપીની ધરપકડ કરી ATSએ વધુ તપાસ હાથ ધરી છે. પંજાબ પોલીસે ગુજરાત ATSને વોન્ટેડ આરોપીની માહિતી શેર કરી હતી. જેના પર કામ કરીને તપાસ કરતા વોન્ટેડ આરોપી બિક્રમજીતસિંહ છે જે હાલ ડીસા ખાતે એક ઢાબામાં છૂટક મજૂરી કામ કરતો હોવાની માહિતી મળી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 7. 'છાતી ઠોકીને કહું છું મેં રાજકારણમાં રૂપિયા બનાવ્યા':ખેડા ભાજપ પૂર્વ પ્રમુખ વિપુલ પટેલનો જાહેર મંચ પરથી એકરાર; વાયરલ વીડિયોએ વિવાદનો મધપૂડો છંછેડ્યો નડિયાદની પાવન ધરા પર આયોજિત એક જાહેર કાર્યક્રમ દરમિયાન ખેડા જિલ્લાના કદાવર રાજકીય નેતા વિપુલ પટેલે આપેલા વિવાદાસ્પદ નિવેદને રાજકીય ગરમાવો તેજ કરી દીધો છે. તેમણે જાહેરમાં હિંમતપૂર્વક એવો એકરાર કર્યો કે તેઓ છાતી ઠોકીને કહે છે કે તેમણે રાજકારણમાં રહીને અઢળક રૂપિયા બનાવ્યા છે. આ નિવેદન વાયુવેગે પ્રસરતા જ સમગ્ર જિલ્લાના રાજકીય વર્તુળોમાં તરેહ-તરેહની ચર્ચાઓ અને અચરજની લાગણી જોવા મળી રહી છે. આ સનસનાટીભરી ઘટના નડિયાદ એરિયા કોલેજીસ રિટાયર્ડ સ્ટાફ એસોસિએશનના રજત જયંતી મહોત્સવના ઝગમગાટ વચ્ચે ઘટી હતી. આ ગરિમાપૂર્ણ અવસરે વિપુલ પટેલ મુખ્ય અતિથિ તરીકે મંચસ્થ હતા. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલ : અમદાવાદ પ્લેન દુર્ઘટનાના પીડિત પરિવારોનો PMને પત્ર:કહ્યું- અમે પૈસા નહીં, અકસ્માતનું કારણ જાણવા માંગીએ છીએ; બ્લેક બોક્સ ડેટાની માગ વાંચો સંપૂર્ણ સમાચાર 2. ઈન્ટરનેશનલ : દાવો- એપસ્ટીન અને અનિલ અંબાણી વચ્ચે સેંકડો મેસેજ-ઈમેલ થયા:યૌન અપરાધીએ પોતાને વ્હાઇટ હાઉસનો ઇનસાઇડર ગણાવ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 3. નેશનલ : શંકરાચાર્ય બોલ્યા- મોહન ભાગવત લગ્ન કરીને બાળકો કેમ નથી કરતા:પહેલા પોતે કરો, પછી બીજાને કહો, ગૌ-માતાની રક્ષા માટે કાયદો બનાવો, વાંચો સંપૂર્ણ સમાચાર 4. ઈન્ટરનેશનલ : ઈરાનના પહાડોમાં છુપાયો હતો અમેરિકન પાઈલટ:36 કલાકમાં દુશ્મનોની વચ્ચેથી બચાવાયો, ટ્રમ્પે કહ્યું- આ ઇતિહાસનું સૌથી સાહસિક રેસ્ક્યુ ઓપરેશન વાંચો સંપૂર્ણ સમાચાર 5. બિઝનેસ : RBI મીટિંગમાં વ્યાજ દરમાં ફેરફારની શક્યતા ઓછી:SBI રિસર્ચ- ગ્લોબલ નિશ્ચિતતા અને ક્રૂડ ઓઇલના ભાવ તેનું કારણ, હાલમાં રેપો રેટ 5.25% વાંચો સંપૂર્ણ સમાચાર 6. સ્પોર્ટ્સ : ચહલનો સુંદર યુવતીઓ સાથે VIDEO VIRAL:અર્શદીપે ગર્લફ્રેન્ડનો હાથ પકડી ફોટો પાડ્યો?; 'ચંપક'ને જાડેજાએ કાખમાં તેડ્યો, રોહિતે જબરા ઈશારા કર્યા વાંચો સંપૂર્ણ સમાચાર 7. ધર્મ તહેવાર જ્યોતિષ : દૃષ્ટિકોણ બદલો, ભાગ્ય બદલાશે:ત્રણ શ્રમિકોની વાર્તામાં છૂપાયેલું છે જીવનનું સાચું રહસ્ય, જાણો પ્રેરણાદાયી કથા વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ શખ્સના ઘરે આવ્યું ₹78 કરોડનું લાઈટ બિલ હરિયાણાના નારનૌલમાં પુનીત બુલાનાના ઘરે 78 કરોડ 92 લાખ રૂપિયાનું વીજળી બિલ આવ્યું છે. માત્ર 6 દિવસના રીડિંગમાં 9 કરોડથી વધુ યુનિટ દેખાયા હતા. ફરિયાદ બાદ વીજ વિભાગે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: 'પ્લાન SERE' શું છે, જેના કારણે ઈરાનમાં 36 કલાક જીવતો રહ્યો પાયલટ; અમેરિકાએ રેસ્ક્યુમાં પોતાના જ 2 પ્લેન કેમ નષ્ટ કર્યા 2. સન્ડે બિગ સ્ટોરી : તમારા સુધી કેવી રીતે પહોંચે છે ગેસ અને પેટ્રોલ-ડીઝલ?: ગુજરાતના 3 પોર્ટ પર આવે છે ક્રૂડ ઓઇલ, વિદેશથી આયાતની આખી ચેઇન સમજો 3. ખાખી કવર : ઇન્દોરના રાજાએ રખાત માટે મુંબઈના સૌથી ધનાઢ્ય માણસની હત્યા કરાવી: મોહમ્મદ અલી ઝીણાએ કેસ લડ્યો, મહારાજા ફાંસીથી બચ્યા, પણ ગાદી ગઈ 4. હિન્દુ રાજા પયગંબરને મળ્યા, ભારતની પહેલી મસ્જિદ બનાવી: પયગંબરને આદુનું અથાણું આપીને મુસલમાન બન્યા; મસ્જિદની 13 સીટ પર અસર 5. કેપ્ટન બાબાનું 18 કરોડનું ફાર્મહાઉસ સીલ, મંદિર ખાલીખમ: દીકરો અરેસ્ટ, પત્ની ફરાર; ભાઈ બોલ્યો- પરિવારને બદનામ કરી નાખ્યો 6. સંડે જઝબાત: કાશ્મીરી મુસલમાન સાથે લગ્ન કર્યા, વિદેશમાં તરછોડી: સાવકા પિતાએ મને ઘરમાંથી કાઢી, મમ્મીએ પણ દરવાજા બંધ કરી દીધા કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ સોમવારનું રાશિફળ:સિંહ રાશિના જાતકોને કરિયર માટે સુવર્ણ દિવસ, નવા સંપર્કોથી વૃશ્ચિક જાતકોને આર્થિક લાભ થશે વાંચો સંપૂર્ણ રાશિફળ
કેરળમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કરવામાં આવેલા એક નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. ખડગેએ પોતાના ભાષણમાં ટિપ્પણી કરી હતી કે, મોદીજી તમે અભણ ગુજરતીઓને મૂર્ખ બનાવી શકો, કેરળના લોકોને નહીં. આ નિવેદન સામે આવતા જ ભારતીય જનતા પાર્ટી આક્રમક બની છે અને કોંગ્રેસ પર 6.5 કરોડ ગુજરાતીઓનું અપમાન કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ચૂંટણીના માહોલ વચ્ચે ખડગેના આ નિવેદને ભાજપને કોંગ્રેસ પર પ્રહાર કરવાનું વધુ એક મોટું હથિયાર આપી દીધું છે. ખડગેએ ગુજરાતીઓ વિશે શું કહ્યું હતું ? મલ્લિકાર્જુન ખડગેએ 5 એપ્રિલે રવિવારે ઈડુક્કીમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર ભાષણ દરમિયાન એક કથિત વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે ગુજરાતના લોકોને અભણ ગણાવ્યા હતા અને તેમના મતે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમને મૂર્ખ બનાવી રહ્યા છે. ખડગેએ કહ્યું હતું કે મોદી કે મુખ્યમંત્રી પિનરાઈ વિજયન કેરળના લોકોને મૂર્ખ બનાવી શકતા નથી, કારણ કે તેઓ ખૂબ જ સ્માર્ટ અને શિક્ષિત છે. ખડગેએ ગુજરાતીઓ વિશે કહ્યું હતું, કેરળના લોકોને ગેરમાર્ગે ન દોરો. તેઓ ખૂબ જ સ્માર્ટ અને શિક્ષિત છે. મોદીજી, વિજયન - તમે બંને ગુજરાત અથવા અન્ય સ્થળોએ અભણ લોકોને મૂર્ખ બનાવી શકો છો, પરંતુ તમે કેરળના લોકોને મૂર્ખ બનાવી શકતા નથી. આ 6.5 કરોડ ગુજરાતીઓનું ઘોર અપમાન : ભાજપભાજપના પ્રદેશ સહ-પ્રવક્તા અને સાંસદ ધવલ પટેલે એક વીડિયો સંદેશ જાહેર કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતની જનતાને 'અભણ' કહીને સમગ્ર રાજ્યનું ઘોર અપમાન કર્યું છે. ધવલ પટેલે જણાવ્યું કે, “કોંગ્રેસના નેતાઓના મનમાં ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે જે નફરત ભરેલી છે, તે ફરી એકવાર બહાર આવી છે. તેઓ એવું માને છે કે ગુજરાતીઓ અભણ છે અને એટલે જ વારંવાર ભાજપને મત આપે છે, જે રાજ્યની જનતાનું સીધું અપમાન છે.” ગુજરાતીઓનું અપમાન કરવાની કોંગ્રેસની જૂની પરંપરા : ધવલ પટેલસાંસદ ધવલ પટેલે આ ઘટનાને કોંગ્રેસની માનસિકતા સાથે જોડતા આરોપ લગાવ્યો કે ગુજરાતીઓનું અપમાન કરવાની કોંગ્રેસની જૂની પરંપરા રહી છે. તેમણે કેટલીક ઐતિહાસિક ઘટનાઓનો હવાલો આપતા નીચે મુજબના દાવા કર્યા હતા કે જવાહરલાલ નેહરુએ સરદાર વલ્લભભાઈ પટેલને દેશના વડાપ્રધાન બનતા અટકાવ્યા હતા. ઇન્દિરા ગાંધીએ મોરારજી દેસાઈને તેમના પદ પરથી હટાવ્યા હતા. અગાઉ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આસામમાં તમામ ગુજરાતીઓને 'કૌભાંડી' કહ્યા હતા. આવા નિવેદન કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે- મુખ્યમંત્રીઆ સમગ્ર મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ પણ કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, “કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતના લોકો અંગે આપવામાં આવેલું નિવેદન અત્યંત આપત્તિજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે. આ પ્રકારની ટિપ્પણી માત્ર 6 કરોડ ગુજરાતીઓનું અપમાન જ નહીં, પરંતુ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવી મહાન વ્યક્તિઓની પવિત્ર ધરતીની ગૌરવને પણ ઠેસ પહોંચાડે છે. ગુજરાતે હંમેશા રાષ્ટ્ર નિર્માણ, વિકાસ અને એકતામાં અગ્રણી ભૂમિકા ભજવી છે અને આગળ પણ ભજવશે. આવા નિવેદનો કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના નેતૃત્વમાં ભાજપની વિકાસની રાજનીતિને મળતા વ્યાપક જનસમર્થનથી કોંગ્રેસ અસ્વસ્થ અનુભવે છે. ગુજરાતની જાગૃત જનતા આવા નિવેદનોનો યોગ્ય જવાબ આપશે અને આવનારા સમયમાં કેરળ ની જનતા પણ કોંગ્રેસને નકારી દેશે.” આ સમગ્ર રાજ્યના ગૌરવ પર હુમલો- જગદીશ વિશ્વકર્માઆ મુદ્દે ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા એ પણ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, “ખડગેનું નિવેદન માત્ર ગુજરાતીઓ નહીં પરંતુ સમગ્ર રાજ્યના ગૌરવ પર હુમલો છે. ગુજરાતના લોકો મહેનતુ, ઉદ્યોગસાહસિક અને રાષ્ટ્રીય વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર છે. કોંગ્રેસ નેતાઓ દ્વારા વારંવાર થતા આવા નિવેદનો તેમની જનવિમુખતા દર્શાવે છે.” ભાજપ દ્વારા આ મુદ્દે કોંગ્રેસને માફી માંગવાની માંગ ઉઠાવવામાં આવી છે, જ્યારે રાજકીય વર્તુળોમાં આ નિવેદનને લઈને ચર્ચાઓ તેજ બની છે. આવનારા સમયમાં આ મુદ્દો વધુ ઉગ્ર બનવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે, કારણ કે બંને પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો સિલસિલો વધુ તેજ બન્યો છે. ભાજપ દ્વારા આ મુદ્દે કોંગ્રેસ પાસે માફી માંગવાની માંગ ઉઠાવવામાં આવી છે, જ્યારે રાજકીય વર્તુળોમાં આ નિવેદનને લઈને ચર્ચાઓ વધુ તેજ બની છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓને સીધો સવાલ આ વિવાદમાં ધવલ પટેલે ગુજરાત કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અમિત ચાવડા અને તુષાર ચૌધરીને પણ ઘેર્યા છે. તેમણે આ બંને નેતાઓને સીધો સવાલ કર્યો છે કે, જ્યારે તમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતીઓને અપમાનિત કરે છે, ત્યારે તમે કેમ મૌન છો? તેમણે વધુમાં પૂછ્યું કે સ્થાનિક નેતાઓ ગુજરાતની જનતાની પડખે છે કે ગુજરાતીઓનું અપમાન કરનાર કોંગ્રેસ નેતૃત્વની સાથે? ધવલ પટેલે એવી પણ ચેતવણી આપી છે કે જો ગુજરાત કોંગ્રેસ આ નિવેદનનો જાહેરમાં વિરોધ નહીં કરે, તો એ સાબિત થઈ જશે કે તેઓ પણ ગુજરાતીઓ પ્રત્યે નફરતની ભાવના રાખે છે.
ગુજરાતમાં આગામી 2026ની સ્થાનિક સ્વરાજ્ની ચૂંટણીઓનો પડઘમ વાગી ચુક્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ભાવનગર મહાનગરપાલિકા માટેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં મનપાના અલગ-અલગ વોર્ડ માટે કુલ 25 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે,જેમાં 7 ઉમેદવારનો રિપીટ કરવામાં આવ્યા અને 18 નવા ચહેરાની પસંદગી કરવામાં આવી છે. ભાવનગર મહાનગરપાલિકા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ શહેર કોગ્રેસ દ્વારા મહાનગરપાલિકાના 13 વોર્ડમાંથી અલગ અલગ વોર્ડમાં નામો જાહેર કરવામાં આવ્યા છે જેમાં વોર્ડ નંબર 1 માંથી 3 નામો, વોર્ડ નંબર 2 માંથી 1 નામ, વોર્ડ નંબર 3માંથી 1 નામ, વોર્ડ નંબર 4 માંથી 2 નામ, વોર્ડ નંબર 5 માંથી 3 નામ, વોર્ડ નંબર 7 માંથી 2 નામ, વોર્ડ નંબર 8 માંથી 2 નામ, વોર્ડ નંબર 9 માંથી 3 નામો, વોર્ડ નંબર 10 માંથી 2 નામ તથા વોર્ડ નંબર 12 માંથી 3 નામ વોર્ડ નંબર 13 માંથી 3 નામો જાહેર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ઉમેદવારની પ્રથમ નામની યાદી જાહેર કરવામાં આવી જેમાં ભાવનગર મહાનગર પાલિકાના 25 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે જેમાં 25 પૈકી 7 ઉમેદવારો જેમાં જયદીપસિંહ ગોહિલ, ભૂમિબેન ગોહિલ, કાંતિભાઈ ગોહિલ, રહીમભાઈ કુરેશી, ભરતભાઇ બુધેલીયા, જસુબેન બારૈયા, શબાનાબેન ખોખર ને રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે અન્ય 18 નવા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા પ્રથમ મનપાના ઉમેદવારોની બે યાદી જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ શહેર કોગ્રેસ દ્વારા આજરોજ પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં અલગ-અલગ વોર્ડના 25 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરતા સ્થાનિક કક્ષાએ ચૂંટણી લડવા માટે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
જૂનાગઢ જિલ્લાના ભેસાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોશિયલ મીડિયાના દુરુપયોગ અને સગીર વયની બાળકીઓને નિશાન બનાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર મિત્રતા કેળવીને એક માસૂમ સગીરાને પોતાની જાળમાં ફસાવનાર અને તેને લગ્ન માટે મજબૂર કરી અપહરણ કરવાનું કાવતરું ઘડનારા શખ્સો સામે પોલીસે લાલ આંખ કરી છે. ભેસાણ પોલીસે ઇન્સ્ટાગ્રામ પર સગીરાને પ્રેમજાળમાં ફસાવી, તેના ભાઈના અપહરણની ધમકી આપી લગ્ન માટે દબાણ કરનારા શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. હર્ષિત વઘાસિયા, પરેશ રાદડિયા અને મીત ઉધાડ નામના શખ્સોએ સગીરાની નાસમજીનો લાભ ઉઠાવી તેને સુરત ભગાડવાનું કાવતરું ઘડ્યું હતું. આ માટે મીત ઉધાડએ ટ્રાવેલ્સની વ્યવસ્થા કરી આપી હતી, પરંતુ પરિવારની સતર્કતાને કારણે સગીરા સુરત પહોંચતા જ તેના માસીને સુરક્ષિત સોંપી દેવામાં આવી હતી. પોલીસે પોક્સો અને BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી હર્ષિત અને પરેશની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે. ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે ભેસાણ પોલીસ મથકમાં પોક્સો એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનાના ત્રણેય શખ્સોએ સુનિયોજિત રીતે ઇન્સ્ટાગ્રામ પર ભોગ બનનાર સગીરાનો સંપર્ક કર્યો હતો. તેઓ સારી રીતે જાણતા હતા કે યુવતી હજુ સગીર વયની છે અને તેની સમજણ શક્તિ ઓછી છે, તેમ છતાં તેની 'બાળક બુદ્ધિ'નો અયોગ્ય લાભ ઉઠાવવાના બદઇરાદે તેની સાથે પ્રેમસંબંધ બાંધવા માટે લલચાવી હતી. આરોપીઓની મોડસ ઓપરેન્ડી અત્યંત ભયાનક હતી કારણ કે તેઓ માત્ર પ્રેમની વાતો નહોતા કરતા પણ સગીરાને માનસિક રીતે તોડી નાખવા માટે ધમકીઓનો સહારો લેતા હતા. આરોપીઓ સગીરા પર લગ્ન કરવા માટે સતત દબાણ કરતા હતા અને જો તે તેમની વાત ન માને તો તેના નાના ભાઈનું અપહરણ કરી લેવાની ધમકી આપીને તેને ડરાવતા હતા. આટલું ઓછું હોય તેમ, આરોપીઓએ સગીરાને એવું પણ કહ્યું હતું કે તેઓ તેને અન્ય કોઈ પણ જગ્યાએ સગાઈ કે લગ્ન કરવા દેશે નહીં. આ પ્રકારના માનસિક ત્રાસ અને ભયના ઓથાર હેઠળ સગીરાને મજબૂર કરવામાં આવી હતી. આ ગુનાહિત કાવતરાને અંજામ આપવા માટે આરોપીઓએ પૂરેપૂરું આયોજન કર્યું હતું. આરોપી મીત ઉધાડએ સગીરાને તેના ઘરથી સુરત મોકલવા માટે ખાનગી ટ્રાવેલ્સની વ્યવસ્થા કરી આપી હતી જેથી તેને પરિવારથી દૂર કરી શકાય. જોકે, આ બાબતની જાણ સમયસર સગીરાના માતા-પિતાને થઈ ગઈ હતી. પરિવારે સમયસૂચકતા વાપરીને સુરતમાં રહેતા તેમના સંબંધી માસીનો સંપર્ક કર્યો હતો. જ્યારે સગીરા સુરત પહોંચી ત્યારે તેને સુરક્ષિત રીતે તેના માસીને સોંપી દેવામાં આવી હતી, જેના કારણે કોઈ મોટી દુર્ઘટના ઘટતી અટકી ગઈ હતી. હાલમાં પોલીસે હર્ષિત વઘાસિયા અને પરેશ રાદડિયાની ધરપકડ કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જ્યારે અન્ય એક આરોપી મીત ઉધાડને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે સગીરા સાથે અન્ય કોઈ પણ પ્રકારનું શારીરિક શોષણ કે અઘટિત ઘટના બની છે કે કેમ. આ ઘટના સમાજ અને વાલીઓ માટે એક ચેતવણી સમાન છે. આજના ડિજિટલ યુગમાં બાળકોના હાથમાં મોબાઈલ અને સોશિયલ મીડિયા હોવું અનિવાર્ય બની ગયું છે, પરંતુ તેના કારણે સર્જાતા જોખમો પણ તેટલા જ વધ્યા છે. અજાણી વ્યક્તિઓ સાથેની ઓનલાઇન મિત્રતા કેવી રીતે અપરાધમાં પરિવર્તિત થાય છે તેનું આ ઉદાહરણ છે
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. ફોર્મ ભરાવાની શરૂઆત થાય તે પહેલા જ ગુજરાત કોંગ્રેસ દ્વારા સાત જેટલી મહાનગરપાલિકાઓમાં ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કેટલાક નામની પહેલી યાદીમાં જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 32 વોર્ડમાં 92 ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવારના નામની જાહેરાત બાદ કોઈ વિવાદ ન સર્જાય તેવા જ વોર્ડમાં ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. જે વોર્ડમાં ઉમેદવારની પસંદગીને લઈને ખેંચતાણ ચાલી રહી છે તેવા ઉમેદવાર નામની જાહેરાત હવે પછીના લિસ્ટમાં કરવામાં આવશે. કોંગ્રેસે ભાજપ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઉમેદવારના નામની જાહેરાત કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 48 વોર્ડમાંથી માત્ર 32 વોર્ડ પરના જ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 12 વોર્ડમાં આખી પેનલ જાહેર કરી દેવામાં આવી છે. મહત્વની વાત છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ, ઉપનેતા નીરવ બક્ષી, દંડક જગદીશભાઈ રાઠોડ અને પૂર્વ કોર્પોરેટર રાજશ્રી કેસરીને રીપીટ કરવામાં આવ્યા છે. પહેલી યાદીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે કુલ 92 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમાં 42 મહિલા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વૉર્ડમાંથી 32 વોર્ડમાં ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગોતામાં 2, ચાંદલોડિયા 3, ચાંદખેડા 1, સાબરમતી 2, રાણીપ 4, નવા વાડજ 4, ઘાટલોડીયા 4, થલતેજ 4, નારણપુરા 4, સરદાર પટેલ સ્ટેડિયમ 1, સરદાર નગર 4, નરોડા 2, સૈજપુર બોઘા 2, શાહીબાગ 3, નવરંગપુરા 3, બોડકદેવ 4, દરિયાપુર 1, ઇન્ડિયા કોલોની 2, ઠક્કરબાપાનગર 4, ખાડિયા 3, પાલડી 4, વેજલપુર 3, મણિનગર 3, અમરાઈવાડી 3, ઓઢવ 4, વસ્ત્રાલ 2, ઇન્દ્રપુરી 4, હાટકેશ્વર 4, લાંભા 1, વટવા 3, રામોલમાં 2 ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. આ તમામ બેઠક અને ઉમેદવાર એવા છે જેની જાહેરાત બાદ કોઈપણ વિવાદ સર્જાય તેમ નથી જેથી તેવા નામની જ જાહેરાત પહેલી યાદીમાં કરવામાં આવી છે. શહેર સંગઠન દ્વારા તમામ બેઠક પર પેનલ તૈયાર કરવામાં આવી છે. જે બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પ્રદેશ સહ પ્રભારીની ઉપસ્થિતિમાં બેઠક યોજીને નિર્વિવાદિત બેઠક પરના ઉમેદવારના નામ નક્કી કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે અમિત શાહના મત વિસ્તારમાં આવતા વોર્ડમાં આખી પેનલની જાહેરાત કરવામાં આવી છે. જો કે તે તમામ બેઠક પર સૌથી ઓછા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. જેથી ઉમેદવારના નામને લઈને કોઈ વિવાદ ન હોવાથી તેવા નામની જાહેરાત પહેલા કરવામાં આવી છે. હવે વિવાદિત બેઠક પરના નામ પર ફરી ચર્ચા કરી તેની જાહેરાત આગામી દિવસમાં કરવામાં આવશે.
હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલા સહયોગનગર (શારદાકુંજ સોસાયટી)માં એક રહેણાંક મકાનમાંથી રૂ. 2.58 લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને એક આરોપીને પકડી પાડ્યો છે, જ્યારે અન્ય બે ફરાર થવામાં સફળ રહ્યા હતા. આ મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કુલ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ સરકારી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન જ્ઞાનદીપસિંહ અને મિતરાજસિંહને સંયુક્ત બાતમી મળી હતી કે હિંમતનગરના સહયોગનગર (શારદાકુંજ)માં રહેતો કિશનસિંહ જવાનસિંહ રાઠોડ પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ રાખી છૂટક વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેડ કરી હતી. રેડ દરમિયાન કિશનસિંહ જવાનસિંહ રાઠોડ હાજર મળી આવ્યો હતો. તેના રહેણાંક મકાનની તલાશી લેતા વિદેશી દારૂની બોટલો અને બિયર ટીન મળી કુલ 382 નંગનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. 2,58,885 આંકવામાં આવી છે. આ ઉપરાંત, આરોપીના અંગત કબજામાંથી રૂ. 10,000ની કિંમતનો ઓપો કંપનીનો સફેદ કલરનો એન્ડ્રોઇડ મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આમ, પોલીસે કુલ રૂ. 2,68,885નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપી કિશનસિંહ જવાનસિંહ રાઠોડ (ઉં.વ. 25, મૂળ રહે. સઢા, તા. હિંમતનગર, જિ. સાબરકાંઠા, હાલ રહે. શારદાકુંજ, સહયોગનગર સોસાયટી, મોતીપુરા, તા. હિંમતનગર, જિ. સાબરકાંઠા) ઉપરાંત, દીપકસિંહ જાડેજા (રહે. બેબાર, તા. હિંમતનગર, જિ. સાબરકાંઠા) અને સુરેન્દ્રસિંહ મખુસિંહ જાડેજા (રહે. સુનોખ, તા. ભિલોડા, જિ. અરવલ્લી)ને ફરાર જાહેર કરવામાં આવ્યા છે.
હળવદના ટીકર ગામે યુવાન પર છરી વડે હુમલો:ગંભીર ઈજા થતા અમદાવાદ સારવાર માટે ખસેડાયો
હળવદ તાલુકાના ટીકર ગામે રવિવારે બપોરે એક યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં યુવાનને પેટના ભાગે ગંભીર ઈજા થતા તેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. હળવદ તાલુકા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ટીકર ગામે રહેતા વારિસભાઈ કગથરાના 19 વર્ષીય પુત્ર અયાજ કગથરાને રવિવારે બપોરે 12 વાગ્યાના અરસામાં ગામમાં આવેલી બેંક સામેની એક દુકાન પાસે બોલાવવામાં આવ્યો હતો. ત્યાં કોઈ અજાણ્યા કારણોસર એક વ્યક્તિએ તેના પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં અયાજ કગથરાને પેટના ભાગે છરીનો ઊંડો ઘા વાગ્યો હતો, જેના કારણે તેના આંતરડા બહાર આવી ગયા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા અયાજને તાત્કાલિક હળવદ અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યો છે. અયાજ કગથરા ગામમાં ઇલેક્ટ્રિકની દુકાન ધરાવે છે અને ઇલેક્ટ્રિક કામ કરે છે. આ બનાવ અંગે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવાન પર કયા કારણોસર અને કોણે હુમલો કર્યો તે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.
વાપી રેલવે સ્ટેશન પર રવિવારે રાત્રે એક મોટી દુર્ઘટના ટળતા RPFના બે જવાનોની સતર્કતાએ એક મુસાફરનો જીવ બચાવ્યો હતો. ચાલુ ટ્રેને ઉતરવાનો પ્રયાસ કરતા મુસાફર ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના જીવલેણ ગેપમાં ફસાઈ ગયો હતો. આ ઘટના રવિવારે રાત્રે લગભગ 10:24 કલાકે બની હતી. ટ્રેન નંબર 09058 પ્લેટફોર્મ નંબર-1 પરથી ઉપડી રહી હતી. જનરલ કોચમાં સવાર એક મુસાફરને ટ્રેન ખોટી હોવાનું જણાતા તેણે ઉતરવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રેન ગતિ પકડી રહી હોવાથી મુસાફરનું સંતુલન બગડ્યું હતું. તે સીધો ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ખાડામાં પડવાની અણી પર હતો, જે જીવલેણ સાબિત થઈ શક્યું હોત. પ્લેટફોર્મ પર ફરજ બજાવી રહેલા RPF કોન્સ્ટેબલ મહેશ કુમાર અને સુરેશ કસ્વાએ આ દ્રશ્ય જોયું હતું. એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના, બંને જવાનોએ ઝડપથી દોડીને મુસાફરને ખેંચી લીધો અને તેને સુરક્ષિત રીતે પ્લેટફોર્મ પર લાવ્યા. બચાવવામાં આવેલા મુસાફરનું નામ લક્ષ્મણલાલ અચલારામ (ઉંમર 46, રહેવાસી શિરોહી, રાજસ્થાન) છે. તેને અમદાવાદ જવું હતું, પરંતુ અન્ય મુસાફરોએ ટ્રેન ઉધના જશે તેમ કહેતા તે ગભરાઈને ચાલુ ટ્રેને ઉતરવા ગયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં જવાનોની બહાદુરી સ્પષ્ટ દેખાઈ રહી છે. લક્ષ્મણ લાલે રડતી આંખે RPF વાપીનો આભાર માન્યો હતો. ઉચ્ચ અધિકારીઓએ પણ બંને કોન્સ્ટેબલોની આ કામગીરીને બિરદાવી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ જામ્યો છે, ત્યારે સુરત મહાનગરપાલિકા કબજે કરવા માટે કોંગ્રેસ પક્ષે પોતાની પ્રથમ વ્યૂહરચનાના ભાગરૂપે મહત્વના વોર્ડ માટે ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે. આ યાદીમાં પક્ષે વર્ષોથી પાયાના સ્તરે કામ કરતા કાર્યકરો, મહિલા પ્રતિનિધિઓ અને અનુભવી ચહેરાઓને સ્થાન આપીને ભાજપ અને આપ સામે મજબૂત મોરચો માંડ્યો છે. નવા અને જૂના ચહેરાઓનું સંતુલનકોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં ખાસ કરીને તે વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જ્યાં જ્ઞાતિગત સમીકરણો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. વોર્ડ નં. 1 (રાંદેર-જહાંગીરાબાદ વિસ્તાર):આ વોર્ડમાં પક્ષે ચાર સક્ષમ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જેમાં પ્રતિમાબેન બાબુલાલ પઢિયારી અને આશાબેન વિનોદભાઈ સોનાવિયા મહિલા પ્રતિનિધિત્વ સંભાળશે, જ્યારે બોની જગદીશભાઈ પટેલ અને કલ્પેશકુમાર સુરેશભાઈ રાણા યુવા અને સક્રિય કાર્યકર તરીકે મતદારો વચ્ચે જશે. આ વિસ્તારમાં પઢીયાર અને રાણા સમાજનું વર્ચસ્વ જોતા આ પસંદગી મહત્વની મનાય છે. વોર્ડ નં. 4 અને 5પાટીદાર અને શ્રમજીવી વર્ગના પ્રભુત્વ ધરાવતા આ વિસ્તારોમાં કોંગ્રેસે મહિલા શક્તિ પર ભરોસો મૂક્યો છે. વોર્ડ નં. 4 માં રેખાબેન ભાલીયા અને મમતાબેન સવાણીની પસંદગી કરવામાં આવી છે. જ્યારે વોર્ડ નં. 5 માં કલ્પનાબેન ગુર્જર, નીલમબેન વઘાસીયા અને વિપુલભાઈ સેખડાને ટિકિટ આપીને પક્ષે શિક્ષિત અને સ્થાનિક સ્તરે લોકપ્રિય ચહેરાઓને પ્રાધાન્ય આપ્યું છે. લઘુમતી અને મિશ્ર વસ્તી ધરાવતા વોર્ડ પર વિશેષ ધ્યાનસુરતના રાજકારણમાં લઘુમતી મતદારો હંમેશા નિર્ણાયક રહ્યા છે. વોર્ડ નં. 9 માંથી મોહમ્મદ સોહેલ મોહમ્મદ અમીન શેખ અને વોર્ડ નં. 13 માંથી રેહાના સઈદ સૈયદના નામની જાહેરાત કરીને કોંગ્રેસે પોતાના પરંપરાગત મતોને અકબંધ રાખવાનો પ્રયાસ કર્યો છે. તેવી જ રીતે, વોર્ડ નં. 18 માં પક્ષે સૌથી વધુ વૈવિધ્યસભર પેનલ ઉતારી છે. અહીં સંજય રામાધાર રામાનંદી, ખુમાનસિંહ દરજીવત, પ્રકૃતિબેન રાઠોડ અને મુનવ્વરજહાં રહેમાન શેખને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ પેનલ દર્શાવે છે કે પક્ષે હિન્દુ-મુસ્લિમ અને અન્ય પરપ્રાંતીય મતો મેળવવા માટે સર્વસમાવેશક વ્યૂહરચના અપનાવી છે.
રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી લક્ષી તૈયારીઓના ભાગરૂપે ઉમેદવારોની પ્રથમ યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસે પ્રથમ તબક્કે કુલ 18 વોર્ડના 40 ઉમેદવારોના નામ પર મહોર મારી છે. રાજકોટ મનપાની કુલ 72 બેઠકોમાંથી અત્યારે 40 બેઠકોના નામ સ્પષ્ટ કરી દેવામાં આવ્યા છે. જેમાં ભાજપમાંથી સસ્પેન્ડ થયેલ દેવુબેન જાદવને પણ ટિકિટ આપતા રાજકારણ ગરમાયુ છે. બાકી રહેલી 32 બેઠકો પરના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલુ હોવાથી તેના નામ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. આ તકે કોંગ્રેસ કાર્યાલય ખાતે મીઠાઈઓ ખાઈને ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા આજે જાહેર કરવામાં આવેલી યાદીમાં જ્ઞાતિ સમીકરણો પણ સાચવી લેવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે. કોંગ્રેસે જાહેર કરેલા નામોમાં કુલ 6 પાટીદાર ઉમેદવારો 4 ક્ષત્રિય ઉમેદવારો, 3 રબારી ઉમેદવારો, 2 બ્રાહ્મણ ઉમેદવારો અને 2 મુસ્લિમ સમાજના ઉમેદવારોને પણ સ્થાન આપીને તમામ જ્ઞાતિઓને સાચવી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં શહેર કોંગ્રેસના પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હાલ કોંગ્રેસ દ્વારા 40 ઉમેદવારો જાહેર કરાયા છે. ટૂંક સમયમાં બીજી યાદી આવશે જેમાં બાકીના 32 નામોની જાહેરાત કરવામાં આવશે. પ્રજા ભાજપના ભ્રષ્ટાચારથી ત્રાહિમામ પોકારી ચુકી હોવાથી કોંગ્રેસની જીત નિશ્ચિત છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલ યાદીમાં સૌથી મોટો ઉલટફેર વોર્ડ 6 માં જોવા મળ્યો છે. ભાજપ દ્વારા જેમને અગાઉ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેવા દેવુબેન જાદવને કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024 માં દેવુબેન જાદવના પતિ મનસુખભાઈ જાદવ વિરુદ્ધ ગેરકાયદેસર રીતે આવાસ મેળવવાના ગંભીર આક્ષેપો થયા હતા, જેના પગલે ભાજપે શિસ્તભંગના પગલાં ભરી તેમને સસ્પેન્ડ કર્યા હતા. માત્ર બે દિવસ પૂર્વે જ દેવુબેન જાદવ અને મનસુખભાઈ જાદવ પોતાના વિશાળ સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા અને પક્ષે તાત્કાલિક તેમને વોર્ડ 6 માંથી ટિકિટ આપીને રાજકીય ગરમાવો વધાર્યો છે. કોંગ્રેસની યાદીમાં વિવિધ વોર્ડના ઉમેદવારોની વિગત વોર્ડ 1રમેશ જુંજા વોર્ડ 2ગીતાબેન પરમારનયનાબા જાડેજાસલીમ કરીયાણી વોર્ડ 4શીતલ પરમારકલ્પના ગૌસ્વામીઠાકરશી ગજેરાદીપક મકવાણા વોર્ડ 5હંસાબેન સોનારારૈયાભાઈ બાંભવાજીતેન્દ્ર રૈયાણી વોર્ડ 6દક્ષાબેન મકવાણાદેવુબેન જાદવશૈલેષ સાકરીયાઉકેશ રબારી વોર્ડ 8રણજીત મૂંધવા વોર્ડ 9ગિરીશ ઘરસંડિયા વોર્ડ 10ભાર્ગવીબા ગોહિલભાવેશ ચૌહાણડો. રતિલાલ ડોબરીયા વોર્ડ 12ઉર્વશીબા જાડેજાકમલેશ કોઠીવાળસંજય અજુડિયા વોર્ડ 13અંજનાબેન પાંચાસરાશાંતાબેન મકવાણામેપાભાઈ કણસાગરાસુનિલ ચાવડીયા વોર્ડ 14સરિયુંબેન સિયાણીપ્રિતેશ ચાવડીયાઅનિષભાઈ જોશી વોર્ડ 16રસિલાબેન ગરૈયાદીપતિબેન સોલંકીમહિપાલભાઈ ચૌહાણઇબ્રાહિમ સોરા વોર્ડ 17ગાયત્રીબેન ભટ્ટયોગીતાબેન જાડેજાશૈલેષ રૂપાપરા વોર્ડ 18માનસીબેન બૂટાણીરવિ જીતિયાનીતિન ભંડેરી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મંડાણ થઇ ચુક્યા છે. રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામની યાદી લગભગ તૈયાર કરી દીધી છે ત્યારે રવિવારે મોડી સાંજે પ્રદેશ કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાની ચૂંટણી માટેની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે.જેમાં વડોદરા મહાનગરપાલિકાના 18 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં બે કોર્પોરેટરોને રિપીટ કરવામાં આવ્યા છે. સૌથી સિનિયર કોર્પોરેટર રિપીટ કરાયાવડોદરા મહાનગરપાલિકામાં ગત ટર્મમાં કોંગ્રેસના 7 સભ્યો જીત્યા હતા. જે પૈકી આજે જાહેર થયેલી યાદીમાં બે પૂર્વ કોર્પોરેટરોના નામ જાહેર કરવામાં આવ્યા છે. વડોદરાના સૌથી સિનિયર પૂર્વ કોર્પોરેટર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવને વોર્ડ 16માંથી રિપીટ કરવામાં આવ્યા છે. તો ગત ટર્મમાં વોર્ડ-13માંથી જીતેલા બાળાસાહેબ સુર્વેને પુનઃ રિપીટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય 16 નવા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. યંગ બ્રિગેડને મેદાનમાં ઉતારવામાં આવીકોંગ્રેસે પણ આ વખતે અંગ બ્રિગેડને મેદાનમાં ઉતારી છે. આ યંગ બ્રિગેડમાં વોર્ડ-3માં પ્રદેશ પ્રવકતા નિશાંત રાવલના પત્ની કૃતિ રાવલ ઉપરાંત મધુ શ્રીવાસ્તવની બંને દીકરીઓ દીપા શ્રીવાસ્તવ અને નીલમ શ્રીવાસ્તવ (નિગમ) નો સમાવેશ થાય છે. તો વડોદરાના સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ કે જેઓ હાલમાં જ કોંગ્રેસમાં જોડાયા છે તેઓ ઉપરાંત વોર્ડ-14માં તીર્થ બ્રહ્મભટ્ટ. ઉપરાંત વિવિધ વોર્ડ પ્રમુખનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા બે પૂર્વ કોર્પોરેટરને ટિકિટકોંગ્રેસ દ્વારા ભાજપમાંથી કોંગ્રેસમાં પ્રવેશ મેળવનાર પૂર્વ કોર્પોરેટર આશિષ જોષી, પારુલ પટેલનું વોર્ડ-15માંથી નામ જાહેર કરવામાં આવ્યું છે. હરણી બોટકાંડ બાદ ન્યાય માટે માંગણી કરી રહેલા આશિષ જોષીને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેઓના સાથી કોર્પોરેટર પારુલ પટેલને પણ ભાજપ વિરુદ્ધ કામ કરતા હોવાથી ટિકિટ નહીં મળે તેવો દ્રઢ વિશ્વાસ હતો જેથી આ બંનેએ થોડા દિવસો અગાઉ જ કોંગ્રેસમાં પ્રવેશ મેળવ્યો હતો. જેઓ બંનેને વોર્ડ-15માં ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે. વોર્ડ-1માંથી જીતેલા ચાર ઉમેદવારોના નામ ઘોષિત કરવાના બાકીવડોદરા મહાનગરપાલિકામાં ગત ટર્મમાં કોંગ્રેસના 7 સભ્યો પૈકી 4 સભ્યો વોર્ડ 1માંથી વિજેતા બન્યા હતા. જો કે , પ્રથમ યાદીમાં વોર્ડ 1 કે જેમાં ચારેય કોર્પોરેટર કોંગ્રેસના હતા તેની યાદી જાહેર કરવામાં આવી નથી. આગામી સમયમાં બીજી યાદીમાં આ વોર્ડના નામોની ઘોષણા કરવામાં આવે તેવી શક્યતાઓ છે. જો કે હાલમાં આ વોર્ડમાંથી કોણ રિપીટ કરવામાં આવે છે અને કોણ કપાય છે તેના ઉપર સૌની નજર છે.
ગેસ સિલિન્ડરની અછત વચ્ચે લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે, ત્યારે વડોદરામાં સિલિન્ડર ચોરીના બનાવો પણ સામે આવી રહ્યા છે. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ગોત્રી વિસ્તારમાંથી ચોરાયેલા ઇન્ડેનના બે ગેસ સિલિન્ડર સાથે બે આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરમાં વધતા મિલ્કત સંબંધિત ગુનાઓને ધ્યાનમાં રાખી પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને સંયુક્ત પોલીસ કમિશનર નિલેશ જાજડિયા દ્વારા ક્રાઇમ બ્રાન્ચને અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવાની સૂચના આપવામાં આવી હતી. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી આઈ જે.આર. ગામીતની દોરવણી હેઠળ પીએસઆઇ આર.એન. બારૈયા અને પીએસઆઇ વી.પી. ચૌહાણની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. દરમ્યાન માહિતીના આધારે અજબડી મિલ નજીક ઠેકરનાથ સ્મશાન પાસે બે શંકાસ્પદ શખ્સ હાલતમાં જણાતા બંનેને રોકી તપાસ કરી હતી. બન્ને આરોપીઓ બાઇક પર ઇન્ડેનના બે ગેસ સિલિન્ડર લઈને ફરી રહ્યા હતા અને કોઈ પુરાવા રજૂ કરી શક્યા નહોતા. તેઓની પુછપરછ કરતા આરોપી રાહુલ વાઘરાવાળા અને સિદ્ધાર્થ ઉર્ફે સિદ્ધ વિનયસિંહે ગોત્રી નિલાંબર સર્કલ પાસેની દુકાનમાંથી આઠ દિવસ પહેલાં બપોરે સિલિન્ડર ચોરી કર્યાનું કબૂલ્યું હતું. પોલીસે તેમની પાસેથી બે ગેસ સિલિન્ડર તથા બાઇક મળી કુલ અંદાજે રૂ. 45 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે આરોપીઓ અને મુદ્દામાલ ગોત્રી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.
વડોદરામાં ભાઈએ પોતાના જ ભાઈ વિરુદ્ધ કરોડોની છેતરપીંડી અંગે ગંભીર ફરીયાદ નોંધાવી છે. વિશ્વાસ રાખીને ડોક્ટરે વહીવટ સોપતા ભાઈએ પેટ્રોલપંપના ભાગીદારી વ્યવસાયમાં બારોબાર અનેક ફાઇનાન્સ કંપનીઓમાંથી રૂ 3.38 કરોડની લોન લઈને નાણાકીય ઉચાપત કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એચપીસીએલ કંપનીમાં 60 લાખ પેમેન્ટ નહીં ચૂકવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે નંદેસરી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલી યોગ આશ્રમ સોસાયટીમાં રહેતા દિલીપભાઈ શરૂ ભાઈ દેવડા બોડેલી ખાતે દેવ હોસ્પિટલ ચલાવે છે. વર્ષ 2007માં એચપીસીએલ કંપનીનો પેટ્રોલપંપ ફાળવાયો હતો, જે બાદમાં નંદેસરી GIDC વિસ્તારમાં “મોર્વી પેટ્રોલપંપ” નામે શરૂ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં સંપૂર્ણ માલિકી દિલીપભાઈ પાસે હતી પરંતુ વર્ષ 2018માં તેમના ભાઈ સુભાષભાઈ દેવડાને 49 ટકા ભાગીદાર બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પેટ્રોલપંપનો વહીવટ ભાઈએ સંભાળ્યો હતો.ભાગીદારી બાદ સુભાષભાઈએ પોતાની સહીથી વિવિધ ફાઇનાન્સ કંપનીઓમાંથી કરોડો રૂપિયાની લોન લીધી હતી. જેમાં Aditya Birla Finance, Bajaj Finserv, Tata Capital સહિતની કંપનીઓ પાસેથી લોનના નામે રુપિયા 3.38 કરોડ લઇ ચાંઉ કરી નાખ્યા હતા. આ તમામ લોન અંગે ડોક્ટરને કોઈ માહિતી આપવામાં આવી નહોતી. બાદમાં ફોરેન્સિક ઓડિટ કરાવતા ખુલ્યું કે પેટ્રોલપંપની આવકમાંથી નાણાં ગેરકાયદેસર રીતે ઉપાડી વ્યક્તિગત ખર્ચ તેમજ ખાનગી દેવા ચુકવવામાં આવ્યા હતા. ઉપરાંત રોજિંદા કેશ ટ્રાન્ઝેક્શનમાં પણ ગેરરીતિઓ થઈ હોવાનું સામે આવ્યું છે. આ મામલે પરિવારજનોની હાજરીમાં સોગંદનામું અને MOU પણ કરવામાં આવ્યા હતા. જેમાં પાંચ વર્ષમાં દેવું ચૂકવવાનો વાયદો કરવામાં આવ્યો હતો. છતાં પણ ત્યારબાદ પણ લોન લેવામાં આવતી રહી હોવાનો આક્ષેપ છે.હાલમાં છેલ્લા છ મહિનાથી પેટ્રોલપંપ બંધ છે અને લોનના હપ્તા ભરાતા નથી. જેના કારણે હવે લોનની જવાબદારી ડોક્ટર પર આવવાની શક્યતા ઊભી થઈ છે. આ સમગ્ર મામલે દિલીપભાઈ દેવડાએ પોતાના ભાઈ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે ફરિયાદ કરી છે. જેના આધારે પોલીસ દ્વારા સુભાષ દેવ દેવડા વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
શહેરના સંત કબીર રોડ ઉપર કનકનગરમાં ચાંદીકામનો વ્યવસાય કરતા દિપકભાઇ ઉર્ફે દીપો મંડલીએ થોરાળા પોલીસ મથકમાં ઉત્તર પ્રદેશના ગોરખપુરના મુકેશ જયસ્વાલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, આરોપીએ ગોરખપુરના જયસ્વાલ જ્વેલર્સના માલિક તરીકે ઓળખ આપી હતી. જે બાદ કાચી ચાંદી વજન પ્રમાણે આપવાની લાલચ આપી જુદી જુદી ડીઝાઇનની ચાંદીની લેડીઝ પાયલનો ઓર્ડર આપ્યો હતો. જેથી વેપારીએ સિલ્વર મીક્સ ઓર્નામેન્ટસાના જુદી-જુદી ડીઝાઇનના રૂ.17,29,813 ની કિંમતના 15.723 કિલોગ્રામ દાગીના કુરિયર મારફત ગોરખપુર મોકલ્યા હતા. જોકે તે બાદ મુકેશ જયસ્વાલ નામના શખ્સે ઓર્ડરનું પેમેન્ટ આપવાની જગ્યાએ ખોટા ચાંદીના ચોરસા મોકલી દીધા હતા. જેથી પોલીસે તેની સામે સામે BNS ની કલમ 318(4), 319(2) મુજબ ગૂનો નોંધ્યો છે અને છેતરપિંડી કરનાર ગોરખપુરના શખ્સને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વ્યાજંકવાદની અરજીમાં કોઈ કાર્યવાહી થશે તો પરિવાર સાથે દવા પી જવાની ધમકી શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અનુજ ડાંગરે ગવલીવાડ શેરી નંબર 12 માં રહેતા શહેનાઝબેન અલ્તાફભાઈ દલવાણી સામે ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, શહેનાઝબેન દલવાણી વિરુધ્ધમાં ભીસ્તીવાડમાં રહેતા મુસ્તાકભાઈ ઝુણાચે વ્યાજકવાદીનાં ત્રાસથી મુકિત અપાવવા બાબતની અરજી કરી હતી. જેથી શહેનાઝબેન પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને અરજી બાબતે કોઇ કાર્યવાહી કરવામાં આવશે તો પોતે પરિવાર સાથે દવા પી જશે અને પોલીસ વિરૂધ્ધમાં ફરીયાદ કરશે તેમ જણાવી આરોપીએ પોતાની ઉપર કોઇ કાર્યવાહી ન કરવા ખોટું દબાણ ઊભું કર્યુ હતુ. જોકે પોલીસે મહિલા સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હનુમાન જયંતિની પ્રસાદીનું બહાનું કરી મહિલાને જ્ઞાતિ અંગે હડધૂત કરી, પતિને મારી નાખવાની ધમકી શહેરમાં રહેતી એક મહિલાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, ગત 3 એપ્રિલના સાંજે 7 વાગ્યે મુંજકા સ્થિત આર્ષ વિદ્યામંદિર પાસે હતા ત્યારે જયેશભાઇ સથવારાએ જીતુભાઇ નિરંજની ચઢામણીથી હનુમાન પ્રસાદીનું બહાનું કાઢ્યું હતું અને ગાળા ગાળી કરી હતી. જે બાદ જાતિ વિષયક અપશબ્દ બોલ્યા હતા અને તેમની સાથેના એક અજાણ્યા શખ્સ દ્વારા પોલીસ ફરિયાદ કરીશ તો પતિને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જોકે મહિલાએ હિંમત દાખવી 5 એપ્રિલના પોલીસ ફરિયાદ નોંધાવી છે. સગપણ પૂર્વે ખરાબ રિવ્યૂ આપતા મહિલાના પતિ પર હૂમલો શહેરના વાવડી ગામ પાસે લક્ષ્મણરાવ ઇમાનદાર વકીલ સાહેબ ટાઉનશીપમાં રહેતા 44 વર્ષીય રાજેશભાઈ જોટંગીયાએ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં દિવ્યેશ રાઠોડ અને તેની સાથેના બે અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, સબંધીની દીકરીના સબંધની વાત આ કામના દીવ્યેશ રાઠોડ સાથે ચાલુ હતી. જે અંગે રાજેશભાઈની પત્નીએ દિવ્યેશ રાઠોડનો પરિવાર યોગ્ય ન હોવાની વાત કરી હતી. જે બાબતનો ખાર રાખી દિવ્યેશે રાજેશભાઈને લોખંડના પાઇપ વડે માર મારી ઈજા પહોંચાડી હતી. જ્યારે તેની સાથે અજાણ્યા શખ્સે ફડાકા ઝીંકી દીધા હતા. જેથી પોલીસે FIR નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢના હૃદયસમા ગણાતા અને સતત ટ્રાફિકથી ધમધમતા ફાયર સ્ટેશનથી ગિરનાર દરવાજા વચ્ચેના માર્ગ પર રવિવારે એક મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં રહી ગઈ હતી. એક અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારતા સ્ટ્રીટ લાઈટનો લોખંડી પોલ પત્તાના મહેલની જેમ ધરાશાયી થયો હતો. સદનસીબે તે સમયે કોઈ વાહન નીચે ન આવી જતા મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ આ ઘટનાએ વહીવટી તંત્રની ઘોર બેદરકારી અને આળસની પોલ ખોલી નાખી છે. આ અકસ્માત એટલો વિચિત્ર હતો કે પોલ ધરાશાયી થઈને રસ્તા પર પડ્યો હોવા છતાં તેની ઉપર લાગેલી બંને લાઈટો ચાલુ હાલતમાં હતી. રસ્તા પર પડેલા વીજ પોલમાં જીવંત વાયર હોવાથી ગમે ત્યારે કોઈ પશુ કે નાગરિકને કરંટ લાગવાની પૂરેપૂરી શક્યતા હતી. લોકો જીવના જોખમે આ પોલની બાજુમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા. રવિવારનો દિવસ હોવાથી જૂનાગઢવાસીઓ અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં પરિવાર સાથે ભવનાથ તળેટીમાં ફરવા નીકળ્યા હતા. રસ્તાની વચ્ચોવચ પોલ પડ્યો હોવાને કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી. સ્થિતિ એવી સર્જાઈ હતી કે વાહનચાલકોએ જાતે જ દૂર મુકેલા ડિવાઈડર પાસેથી રસ્તો કાઢવો પડ્યો હતો. નાના બાળકો અને વડીલો સાથે નીકળેલા પરિવારો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયા હતા, જ્યારે ટ્રાફિક નિયમન કે પોલ હટાવવા માટે તંત્ર તરફથી કોઈ જ તત્પરતા જોવા મળી નહોતી. એક તરફ સ્માર્ટ સિટીની વાતો થાય છે અને બીજી તરફ ભવનાથ જેવા મુખ્ય માર્ગ પર કલાકો સુધી જોખમી પોલ પડ્યો રહે તે કેટલી હદે યોગ્ય છે ? કદાચ તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. લાઈટો ચાલુ હોવા છતાં વીજ પુરવઠો કાપવાની તસ્દી પણ લેવામાં આવી નહોતી.સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, શું તંત્ર માત્ર રજાઓ માણવા માટે જ છે ? જનતાના જીવની કોઈ કિંમત નથી ? રવિવારની રજા હોવાથી તંત્રના બાબુઓ રજાની મજા માણી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે આ અહેવાલ બાદ તંત્ર સફાળું જાગે છે કે પછી કાગળ પર જ ઘોડા દોડાવ્યા રાખશે. તો આ મામલે પોતાના બચાવ પક્ષમાં જૂનાગઢ મહાનગરપાલિકાના ઈલેક્ટ્રીક શાખાના અધિકારી હાજાભાઇ ચુડાસમા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે અમને આ પોલ પડ્યાની જાણ થતા તાત્કાલિક તે વીજ લાઈન બંધ કરવામાં આવી છે અને હાલ પુલ ઉભો કરવાની કામગીરી હાથ ધરાઈ છે..
જામનગરમાં બે ગેંગના 29 સાગરીતો પર ગુજસીટોક:અસલમ ખીલજી, અલ્તાફ ખફી ગેંગ સામે કડક કાર્યવાહી
જામનગરમાં સંગઠિત ગુનાખોરી ડામવા પોલીસે કડક કાર્યવાહી કરી છે. રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ, પોલીસે અસલમ કરીમ ખીલજી અને અલ્તાફ ગફાર ખફી ગેંગના કુલ 29 સાગરીતો વિરુદ્ધ ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ (GUJCTOC) હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ ઓપરેશન જામનગર શહેરના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા, LCB પી.આઈ. વી.બી. ચૌધરી, SOG પી.આઈ. બી.એન. ચૌધરી અને સીટી એ-ડિવિઝન પી.આઈ. વી.એમ. ડોડીયા સહિતની ટીમો દ્વારા બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પાર પાડવામાં આવ્યું હતું. આ બંને ગેંગ વર્ષોથી ખૂન, ખૂનની કોશિશ, બળાત્કાર, લેન્ડ ગ્રેબિંગ, ફાયરિંગ અને ડ્રગ્સ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી હતી. અસલમ કરીમ ખીલજી ગેંગમાં કુલ 18 સભ્યો સામે કાર્યવાહી કરવામાં આવી છે. કોર્પોરેટર અસલમ ખીલજીની આ ટોળકી સામે અત્યાર સુધીમાં અલગ-અલગ પોલીસ મથકોમાં કુલ 46 ગુનાઓ નોંધાયેલા છે. આ ગેંગના 13 સભ્યોને હસ્તગત કરવામાં આવ્યા છે, જેમાં અસલમ ખીલજી, શાકીર ખીલજી, આસીફ ખીલજી, રેહાન બેલીમ, સદામ ઉર્ફે ઇન્ડો શેખ, અકીલ શેખ, અસગરઅલી મકવાણા, આફતાબ ઉર્ફે અપુ મકવાણા, મહમદ ઉર્ફે મમલો પંજા, રઉફ ઉર્ફે ભુરો બેલીમ, મકસુદ ઉર્ફે પવન પંજા, એઝાઝ ઉર્ફે ગોકુલ કુરેશી અને હસન હારૂન બસરનો સમાવેશ થાય છે. જ્યારે ગની પટેલ બશર, અસલમ કાદર શેખ, ઇસ્માઇલ ઉર્ફે ધરાર માંડલીયા, નદીમ ખીલજી અને લતીફ ઉર્ફ લતીફ બાપુ શેખ સહિત 5 આરોપીઓ હજુ પકડવાના બાકી છે. અલ્તાફ ગફાર ખફી ગેંગમાં કુલ 11 સભ્યો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. પૂર્વ કોર્પોરેટર અલ્તાફ ખફીની આ ટોળકી જામનગર ઉપરાંત સુરેન્દ્રનગર અને બનાસકાંઠા જિલ્લામાં પણ સક્રિય હતી. આ ગેંગ વિરુદ્ધ કુલ 52 ગુનાઓ નોંધાયેલા છે. આ ગેંગના 8 આરોપીઓ હાલ જેલમાં છે, જેમાં અલ્તાફ ખફી, સમીર ચૌહાણ, જુનેદ ઉર્ફે જુનીયો ચૌહાણ, ઈસ્તીયાક કુરેશી, મોસીન ઉર્ફે પચાસીયા રૂમી, તોહિતખાન ઉર્ફે પપ્પુ શેખ, તબરેજ હાલાણી અને હમીદ ઉર્ફે રાંજો બ્લોચનો સમાવેશ થાય છે. સાહીદ ઇમ્તિયાઝભાઇ ખફીને નવો હસ્તગત કરવામાં આવ્યો છે. જ્યારે અબુસુફીયાન કુરેશી અને ઓસમાણ મુસા ખફી સહિત 2 આરોપીઓ પકડવાના બાકી છે. આ બંને સિન્ડિકેટ જામનગરના સામાન્ય નાગરિકોમાં હથિયારો બતાવી ભય પેદા કરતી હતી. તેમની વિરુદ્ધ ખૂન, ધાડ, બળાત્કાર, લેન્ડગ્રેબિંગ, ઘરફોડ ચોરી, નાર્કોટીક્સ (NDPS), પ્રોહીબીશન, એટ્રોસીટી, ફાયરિંગ અને જાહેરનામાનો ભંગ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે આ બંને ગેંગ સામે GUJCTOC એક્ટની કલમ-૩(૧)(ii), ૩(૨), ૩(૪) તથા ૩(૫) મુજબ ફરિયાદ નોંધી છે. આ કાયદા હેઠળ આરોપીઓને જામીન મળવા મુશ્કેલ બને છે અને તેમની ગુનાહિત રીતે મેળવેલી મિલકતો ટાંચમાં લેવાની પણ જોગવાઈ છે.જામનગર પોલીસની આ કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે
માળીયા કચ્છ હાઈવે પર આવેલી ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી પોલીસે સઘન વાહન ચેકિંગ દરમિયાન દારૂ ભરેલી સેન્ટ્રો કાર ઝડપી પાડી છે. કારમાંથી ચોરખાનામાં છુપાવેલી દારૂની 96 બોટલો મળી આવી હતી. પોલીસે રૂ. 2.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન GJ 1 HM 0110 નંબરની સેન્ટ્રો ગાડીને રોકવામાં આવી હતી. તપાસ કરતા કારની પાછળની સીટ નીચે બનાવેલા ચોરખાનામાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ 96 બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂ. 1,16,400 અને કારની કિંમત રૂ. 1,00,000 મળીને કુલ રૂ. 2,16,400 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે કચ્છના રાપર તાલુકાના કીડીયાનગરના રહેવાસી ઘનશ્યામભાઈ ડાયાભાઈ પરમારની ધરપકડ કરી છે. માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દારૂનો આ જથ્થો કચ્છ બાજુથી મોરબી તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, પકડાયેલા આરોપી ઘનશ્યામભાઈ પરમાર વિરુદ્ધ અગાઉ માળીયા અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં દારૂના એક-એક ગુના નોંધાયેલા છે. હાલ પોલીસ દારૂનો જથ્થો ક્યાંથી ભરવામાં આવ્યો હતો અને મોરબીમાં કોને આપવાનો હતો તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. ગણેશપુરા કંપા સહિત સાત કંપાના 200થી વધુ કચ્છી પાટીદાર યુવાનો અને મહિલાઓએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) છોડી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. આ જોડાણ ગણેશપુરા કંપામાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન થયું હતું. જેમાં ગણેશપુરા કંપા, મણીપુર કંપા, તળાવ કંપા, નાંદીસન કંપા, રાજલી કંપા, ભવાનીપુરા કંપા અને મદાપુર કંપાના કાર્યકરો સામેલ હતા. કોંગ્રેસમાં જોડાયેલા કચ્છી સમાજના યુવાનો અને મહિલાઓએ જણાવ્યું હતું કે, ભાજપે કચ્છી સમાજનો ઉપયોગ માત્ર મતો માટે જ કર્યો છે. આ કાર્યક્રમ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરુણભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. તેમણે નવા જોડાયેલા સભ્યોનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ મંત્રી અંબાલાલ પટેલ અને મોડાસા શહેર કોંગ્રેસ પ્રમુખ રાહુલભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના મજબૂત ગણાતા કચ્છી પાટીદાર સમાજના લોકો કોંગ્રેસમાં જોડાતા આગામી ચૂંટણી પહેલા ભાજપ માટે આ એક ચિંતાનો વિષય બની શકે છે. જ્યારે કોંગ્રેસ માટે આ જોડાણ નવી રાજકીય શક્તિ પ્રદાન કરી શકે છે.
અશોક ખરાતની ‘કૉલ ડિટેલ લીક’ થતા મહારાષ્ટ્રમાં હડકંપ, CM ફડણવીસે આપ્યા તપાસના આદેશ
Ashok Kharat Rape Case : દુષ્કર્મના આરોપી ઢોંગી બાબા અશોક ખરાતની કૉલ ડિટેઈલ લીક થયા બાદ મહારાષ્ટ્રમાં હડકંપ મચી ગયો છે. આ મામલો સામે આવ્યા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અશોક દેવેન્દ્ર ફડણવીસે તપાસના આદેશ આપ્યા છે. ફડણવીસે નાસિકમાં મોટું નિવેદન આપતા કહ્યું છે કે, ખરાત કેસમાં લીક થયેલા કૉલ ડિટેલ રેકોર્ડ (CDR)ની તપાસ કરાવાશે અને દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે. આ ઉપરાંત એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ED) દ્વારા તેની સંપત્તિના તપાસ કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, કોઈપણ વ્યક્તિને તેની કૉલ ડિટેલ રેકોર્ડ મેળવવાનો અધિકાર નથી, માત્ર અધિકૃત એજન્સીઓઓ જ મેળવી શકશે. સીડીઆર લીક કેવી રીતે થઈ અને તેની પાછળ કોનો હાથ છે, તેની ઊંડાણપૂર્વક તપાસ કરાવાશે.
વાંકાનેર તાલુકાના ભલગામ નજીકથી ગેરકાયદેસર જ્વલંતશીલ પ્રવાહીનો મોટો જથ્થો ઝડપાયો છે. એલસીબી અને સ્થાનિક પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને 29,000 લિટર પ્રવાહી અને અન્ય મુદ્દામાલ સહિત કુલ 48.33 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. મોરબી જિલ્લા એલસીબીને માહિતી મળી હતી કે ભલગામની સીમમાં આવેલી માલકીયા હોટલ નજીક એમ.એચ. એન્ટરપ્રાઇઝમાં ગેરકાયદેસર રીતે જ્વલંતશીલ પ્રવાહીનો સંગ્રહ કરીને બહારથી આવતા ટ્રકોમાં ઇંધણ તરીકે ભરવામાં આવે છે. આ બાતમીના આધારે એલસીબી પીઆઇ એમ.પી. પંડયાની સૂચના મુજબ વાંકાનેરના ડીવાયએસપી સમીર સારડા, એલસીબી અને વાંકાનેર તાલુકા પોલીસની ટીમે સંયુક્ત દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી 29,000 લિટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત 23.20 લાખ રૂપિયા આંકવામાં આવી છે. આ ઉપરાંત, 25 લાખ રૂપિયાની કિંમતનું ટેન્કર (નંબર GJ 12 AZ 9781), પાઈપ, ઇલેક્ટ્રિક મોટર અને બે મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આમ, પોલીસે કુલ 48,33,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે સ્થળ પરથી અજીતસિંહ નવઘણસિંહ જાડેજા (રહે. કનકનગર સોસાયટી, રાજકોટ), રવિ દાદ ધાધલ (રહે. નવાગામ, રાજકોટ), નરેન્દ્ર પ્રવીણચંદ્ર જોશી (રહે. નવાગામ, રાજકોટ), નયન મોહન મકવાણા (રહે. નવાગામ, રાજકોટ) અને નયન વિજય વાળા (રહે. નવાગામ, રાજકોટ) એમ પાંચ શખ્સોને પકડી પાડ્યા હતા. તેમની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પીઠાદરા ગામે સસ્તા અનાજની દુકાનના સંચાલક પાસેથી ખંડણી માંગવાના આરોપસર સુરતના એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય પોતાને પત્રકાર તરીકે ઓળખાવતા હતા. આરોપીઓ સુરતથી પીઠાદરા ગામની સરકારી સસ્તા અનાજની દુકાને પહોંચ્યા હતા. તેમણે દુકાન સંચાલકને જણાવ્યું કે તેમને સરકારી અનાજ ઓછું આપવા અંગે હેડ ઓફિસમાં અરજી મળી છે. તેમણે સંચાલકને ઇન્ટરવ્યુ આપવા અથવા ₹21,000 આપવાની ધમકી આપી હતી. સંચાલકે તેમની પાસે ઓળખપત્ર (આઈકાર્ડ) માંગ્યા હતા, પરંતુ આરોપીઓએ આઈકાર્ડ આપવાનો ઇનકાર કર્યો હતો અને ત્યાંથી રવાના થવા લાગ્યા હતા. શંકા જતાં સંચાલક તાત્કાલિક ડોલવણ પોલીસ મથકે પહોંચ્યા અને સમગ્ર ઘટનાની જાણ કરી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની સ્વિફ્ટ કાર પણ જપ્ત કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં સુરત શહેરના નરેન્દ્ર મદનમોહન સિંહ, સપનાસિંઘ રાજપૂત અને હિરેન મેહતાનો સમાવેશ થાય છે. પોલીસે ત્રણેય કથિત પત્રકારો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે શું તેમણે અગાઉ પણ કોઈ પાસેથી ખંડણી ઉઘરાવી છે કે અન્ય કોઈને ધાકધમકી આપી છે.
પત્ની-સાળાના નામે ફેક ID બનાવનાર ઝડપાયો:જૂનાગઢથી પકડાયો, તસવીર વાઈરલ કરવાનો ગુનો
પોરબંદર સાયબર ક્રાઈમ પોલીસે સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવી મહિલા અને તેના પરિવારના ફોટા વાયરલ કરવાના ગુનામાં એક આરોપીની જુનાગઢથી ધરપકડ કરી છે. આરોપી ભાવેશ રામભાઈ ઝાલા (ઉંમર ૩૬) ને ૫ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ ઝડપી પાડવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપીએ ફરિયાદી મહિલા અને તેના ભાઈના નામે ફેસબુક પર Nilam Bhavesh Zala અને Mokariya Lalo જેવા ફેક આઈડી બનાવ્યા હતા. આ આઈડી દ્વારા મહિલા અને તેના પરિવારના અંગત ફોટા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા હતા. સાયબર ક્રાઈમ પોલીસે ટેકનિકલ પુરાવાઓના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી ભાવેશ રામભાઈ ઝાલાની ઓળખ થઈ હતી, જે મૂળ આદિત્યાણા (તા. રાણાવાવ, જિ. પોરબંદર) નો વતની છે અને હાલ જુનાગઢના મધુરમ વિસ્તારમાં રહે છે. પોલીસે જુનાગઢ ખાતેથી તેની ધરપકડ કરી હતી. આરોપી વિરુદ્ધ BNS એક્ટ ૨૦૨૩ ની કલમ ૭૯, ૩૧૬(૨) તથા આઈ.ટી. એક્ટ ૨૦૦૦ ની કલમ ૬૬(સી) અને ૬૬(ડી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર. ચૌધરી, ASI કે.બી. ઓડેદરા, ASI ડી.એચ. પટેલ, PC સુભાષભાઈ જોષી અને ડ્રાઈવર મહેશભાઈ સોલંકી સહિતની ટીમ જોડાઈ હતી.
રાજકોટના રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા, જે 1988ના પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે, તેમને આજે વહેલી સવારે 7 વાગ્યે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જૂનાગઢ જિલ્લા જેલમાંથી અમદાવાદની હાઈ-સિક્યોરિટી સાબરમતી મધ્યસ્થ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ ટ્રાન્સફરને રાજ્ય જેલ વિભાગની અત્યંત ગુપ્ત અને સુરક્ષાત્મક કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે. ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ અમદાવાદ જેલમાં ટ્રાન્સફર કરાઈજૂનાગઢ જિલ્લા જેલ અધિક્ષક નાસીરુદ્દીન લોહારના જણાવ્યા અનુસાર સરકારના નીતિ-નિયમો અને વહીવટી કારણોસર અનિરુદ્ધસિંહ જાડેજાને અમદાવાદ જેલમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પોલીસના ચુસ્ત જાપ્તા અને ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. સાબરમતી જેલમાં તેમની સુરક્ષા અને અન્ય કેદીઓ સાથેના સંપર્કને લઈને વિશેષ તકેદારી રાખવામાં આવશે તેમ પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પૂર્વ MLAના હાઈ-પ્રોફાઈલ હત્યા કેસમાં આજીવન કેદની સજા આ સમગ્ર મામલાના મૂળ 36 વર્ષ જૂના ગોંડલના ચકચારી હત્યાકાંડમાં રહેલા છે. 15 ઓગસ્ટ 1988ના રોજ જ્યારે આખો દેશ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યો હતો, ત્યારે ગોંડલ ખાતે ધ્વજવંદનના જાહેર કાર્યક્રમમાં કોંગ્રેસના તત્કાલીન ધારાસભ્ય પોપટભાઈ લાખાભાઇ સોરઠિયાની ગોળી મારીને કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો હતો. આ હાઈ-પ્રોફાઈલ હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા મુખ્ય આરોપી હતા અને લાંબી કાનૂની લડત બાદ તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. એક મહિનાની અંદર સરેન્ડર થવા હાઈકોર્ટનો આદેશવર્ષ 2018માં તત્કાલીન જેલ સત્તાધીશો દ્વારા અનિરુદ્ધસિંહને સારા વર્તનના આધારે સજામાફી આપી જેલમુક્ત કરવામાં આવ્યા હતા. જોકે, આ મુક્તિ વિવાદોના ઘેરામાં રહી હતી. પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયાના પૌત્રએ આ સજામાફીને પડકારતા ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કપી હતી. હાઈકોર્ટે ગત સપ્તાહ દરમિયાન આ મામલે કડક વલણ અપનાવતા જેલ અધિક્ષક ટી.એસ. બિસ્તના સજામાફીના હુકમને ગેરકાયદે ઠરાવી રદ કર્યો હતો. હાઈકોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે, અનિરુદ્ધસિંહ જાડેજાએ એક મહિનાની અંદર સરેન્ડર થવું પડશે. આ ઉપરાંત તેમને દરરોજ હાજરી પુરાવવાનો અને પાસપોર્ટ જમા કરાવવાનો પણ આદેશ કરાયો હતો. હાઈકોર્ટના કડક વલણને પગલે આખરે તેમને જેલના સળિયા પાછળ જવું પડ્યું હાઈકોર્ટના આદેશથી બચવા માટે અનિરુદ્ધસિંહ જાડેજાએ ગત 29 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન (ક્રિમિનલ) દાખલ કરી હતી, જે 30 ઓગસ્ટે સુનાવણી માટે લેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જની ખંડપીઠ સમક્ષ આ મામલે દલીલો થઈ હતી. જોકે, કાયદાકીય પકડ મજબૂત બનતા અને હાઈકોર્ટના કડક વલણને પગલે આખરે તેમને જેલના સળિયા પાછળ જવું પડ્યું છે. અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ સંડોવણીઅનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીઓ માત્ર જૂના કેસ પૂરતી સીમિત નથી. હાલમાં જ ગોંડલના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ અનિરુદ્ધસિંહ અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા વિરુદ્ધ ગુનો નોંધાયો છે. અમિત ખૂંટને મરવા માટે મજબૂર કરવાના (દુષ્પ્રેરણા) આરોપમાં ગોંડલ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસની ચાર્જશીટ મુજબ અનિરુદ્ધસિંહ લાંબા સમય સુધી ફરાર રહ્યા હતા. ગોંડલ કોર્ટે ગત 19 ઓગસ્ટના રોજ તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી, જેનાથી તેમની મુશ્કેલીમાં વધારો થયો હતો.
ગાંધીનગરના આદિવાડા વિસ્તારમાં રહેતા અને કટલરીનો વ્યવસાય કરતા એક શ્રમિક પરિવારનો 14 વર્ષનો પુત્ર નાના ભાઈ બહેનને શાળાએ મૂકવા ગયા પછી પરત ફરતા સમયે રહસ્યમય રીતે ગુમ થતા પરિવારમાં ચિંતા વ્યાપી ગઈ છે. આ મામલે પિતાએ સેક્ટર-28ની સ્કૂલ પાસે કોઈ અજાણ્યો શખ્સ પુત્રને લલચાવી ફોસલાવી ઉઠાવી ગયો હોવાની આશંકા સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સગીર તેના ભાઈ-બહેનને સ્કૂલે મુકવા ગયો હતોમૂળ ઉત્તર પ્રદેશના અને હાલ ગાંધીનગરના આદિવાડામાં રહેતા અખિલેશકુમાર રાઠોડના જણાવ્યા અનુસાર, તેમનો 14 વર્ષ અને 6 માસનો પુત્ર ગત 2 એપ્રિલના રોજ સવારે સાત વાગે સાયકલ લઈને તેના નાના ભાઈ બહેનોને સેક્ટર-28ની હિન્દી મીડિયમ સ્કૂલમાં મૂકવા માટે ગયો હતો. મોડે સુધી ઘરે ના પહોંચતા પરિવારે શોધખોળ કરી'તીસામાન્ય રીતે તે ભાઈબહેનોને સ્કૂલે ઉતારીને કલાકમાં ઘરે પરત આવી જતો હોય છે.પરંતુ તે દિવસે મોડે સુધી ઘરે ન આવતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. બાદમાં શાળાના શિક્ષકનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે કિશોર શાળાએથી તરત જ ઘર તરફ જવા રવાના થઈ ગયો હતો.જોકે તે ઘરે પહોંચ્યો ન હતો. લીલા રંગનું ટી-શર્ટ અને ડાર્ક ગ્રીન પેન્ટ પહેર્યું હતું, અપહરણનો ગુનો નોંધાયો જેના પગલે પરિવારજનોએ સેક્ટર-28 અને 24ના વિસ્તારો સહિત મિત્ર વર્તુળ અને વતનમાં પણ તપાસ કરી હતી. પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ગુમ થતી વખતે કિશોરે આખી બાયનું લીલા રંગનું ટી-શર્ટ અને ડાર્ક ગ્રીન પેન્ટ પહેરેલું હતું. તેમજ તેને આંખના નંબર હોવાથી તે કાયમી ચશ્મા પહેરે છે. કિશોર ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન ધરાવે છે. આ અંગે સેક્ટર-21 પોલીસે અપહરણનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ શહેરના મુમતપુરા તરફ જતા એસપી રીંગ રોડ પર આવેલા કેફેની સામે એક અવાવરૂ પ્લોટમાં એક ગાડીમાં દારૂ બિયરનો જથ્થો હોવાની સરખેજ પોલીસને બાતમી મળી હતી. પોલીસે તપાસ કરીને એક આરોપી ગાડી તથા દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આરોપી ખોટી નંબરપ્લેટ લગાવીને ગાડીમાં આ જથ્થો ભરી લાવીને અમદાવાદમાં બુટલેગરને સપ્લાય કરતો હતો.સરખેજ પોલીસે કુલ 4.47 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે. ગાડીમાંથી દારૂ બિયરની 456 બોટલો મળી આવીસરખેજ પોલીસને બાતમી મળી હતી, જેના આધારે બોપલથી મુમતપુરા જતા રોડ પરથી રેડ કરતા જ રાજસ્થાનનો શાંતિલાલ ચૌધરી (રહે. ઘાટલોડિયા) રંગેહાથ ઝડપાયો હતો.પોલીસે આરોપીની ગાડીની તપાસ કરતા ગાડીમાં ખોટી નંબરપ્લેટ લગાવી હોવાનું સામે આવ્યું હતું. સાથે ગાડીમાંથી દારૂ બિયરની 456 બોટલો પણ મળી આવી હતી. ઉદયપુરથી દારૂ લાવ્યાનો ઘટસ્ફોટપોલીસે દારૂ સહિત કુલ 4.47 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની પૂછપરછ કરતા તે આ જથ્થો ઉદયપુરથી ખેમરાજ પાસેથી લાવ્યો હોવાનું કબૂલાત કરી હતી. અમદાવાદ પહોંચ્યા બાદ દારૂનો જથ્થો કોને આપવાનો હતો તે બાબતે સરખેજ પોલીસે તપાસ હાથ ધરી છે. પકડાયેલો આરોપી અગાઉ વર્ષ 2018માં પણ સોલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયો હતો.
મહેસાણાના જોટાણા તાલુકાના કટોસણ-સાંથલ રોડ પર શનિવારે સાંજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. કટોસણ ધનપુરાના 30 વર્ષીય યુવક નરપતસિંહ ઝાલા પોતાનું બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે ઈંટોના ભઠ્ઠા પાસે બાઈક પરનો કાબૂ ગુમાવતા વાહન માઈલસ્ટોન સાથે જોરદાર અથડાયું હતું. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાને કારણે યુવકનું મોત નિપજ્યું છે. માઈલસ્ટોન સાથે અથડાઈને બાઈક સ્લીપકટોસણ ધનપુરા (ઉદપુરા વિભાગ)માં રહેતા નરપતસિંહ ઝાલા(ઉ.વ. 30) શનિવારે બપોરે ચારેક વાગ્યાના સુમારે પોતાના ઘરેથી બાઈક લઈને સાંથલ તરફ જવા નીકળ્યા હતા.કટોસણથી સાંથલ જતા રોડ પર જાહેર રોડ ઉપર આવેલ ઈંટોના ભઠ્ઠા સામે તેમનું બાઈક પૂરઝડપે હોવાથી અચાનક માઈલસ્ટોન સાથે અથડાઈને સ્લીપ ખાઈ ગયું હતું. સારવાર સમયે યુવકે જીવ ગૂમાવ્યોઅકસ્માતની જાણ થતા જ મૃતકના કાકા માલભા જાલમસિંહ ઝાલા સહિતના પરિવારજનો ઘટનાસ્થળે દોડી ગયા હતા.ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108 મારફતે જોટાણા સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના અંગે સાંથલ પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચી ઈન્ક્વેસ્ટ પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. સી.આઈ.એસ.એફ.ના નિવૃત જવાન માલભા ઝાલાની ફરિયાદના આધારે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવાન પુત્રના અકાળે અવસાનથી કટોસણ પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પોરબંદર પોલીસ વિભાગમાં મોટાપાયે ફેરબદલ:10 અધિકારીઓની બદલી, 7ને નવા સ્થાનો, 3ની આંતરિક ફેરબદલ
પોરબંદર જિલ્લા પોલીસ વિભાગમાં વહીવટી સરળતા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને મોટાપાયે ફેરબદલ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) સ્તરના કુલ 10 અધિકારીઓની બદલી અને નિમણૂકના આદેશો જારી કરાયા છે. આ આદેશ અનુસાર, અન્ય જિલ્લાઓમાંથી બદલી થઈને આવેલા સાત અધિકારીઓને પોરબંદર જિલ્લામાં નવા નિમણૂક સ્થાનો સોંપવામાં આવ્યા છે. આ અધિકારીઓને ગાંધીનગર પોલીસ મહાનિર્દેશકની કચેરીના આદેશથી પોરબંદર જિલ્લામાં હાજર કરાયા હતા. નવા નિમણૂક પામેલા અધિકારીઓમાં બી.જી. ડાંગરને રાણાવાવ પોલીસ સ્ટેશન, સી.કે. કાતરીયાને હાર્બર મરીન પોલીસ સ્ટેશન અને એમ.એચ. લાઠીને એલ.આઈ.બી. (LIB) માં મૂકવામાં આવ્યા છે. વધુમાં, કે.વી. પરમારને કીર્તિમંદિર પોલીસ સ્ટેશન, એ.એન. જાડેજાને એસ.ઓ.જી. (SOG) અને આર.જે. રામને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપાયો છે. ડી.ડી. ચૌહાણને માધવપુર પોલીસ સ્ટેશન ખાતે નિમણૂક આપવામાં આવી છે. જિલ્લામાં કાર્યરત ત્રણ અધિકારીઓની આંતરિક બદલી પણ કરવામાં આવી છે. વહીવટી સુવિધા માટે તેમની જગ્યામાં ફેરફાર કરાયો છે. આંતરિક બદલી પામેલા અધિકારીઓમાં PI વાય.જી. માથુકીયાને એસ.ઓ.જી.માંથી મિયાણી મરીન પોલીસ સ્ટેશન, PI એસ.આર. ચૌધરીને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાંથી નવીબંદર મરીન પોલીસ સ્ટેશન ખાતે બદલવામાં આવ્યા છે. PSI આર.એ. ઝાલાને એસ.ઓ.જી.માંથી બગવદર પોલીસ સ્ટેશન ખાતે નિમણૂક અપાઈ છે. પોલીસ અધિક્ષક પી. એસ. જાડેજાએ તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાના નવા નિમણૂક સ્થળનો ચાર્જ સંભાળી લેવા અને તે અંગેનો રિપોર્ટ રજૂ કરવા સૂચના આપી છે.
અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવિણ કોળીએ બગદાણાના નવનીત બાલધીયા દ્વારા વાયરલ કરાયેલા વીડિયો અંગે સ્પષ્ટતા કરી છે. આ વીડિયોમાં હિરાભાઈ સોલંકી અને કુંવરજી બાવળીયાનો ઉલ્લેખ થતા, કોળી સમાજમાં વિભાજનના પ્રયાસો થઈ રહ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા હતા. પ્રવિણ કોળીએ જણાવ્યું કે, નવનીત બાલધીયા કોંગ્રેસમાં જોડાયા બાદ છેલ્લા બે-ત્રણ દિવસથી કોળી સમાજમાં આંતરિક વિભાજન કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી કે નવનીત બાલધીયાના કોંગ્રેસમાં જોડાવાથી કોળી સમાજને કે હિરાભાઈ સોલંકી અને પરસોતમભાઈને કોઈ તકલીફ નથી. પ્રવિણ કોળીએ હિરાભાઈ સોલંકીના નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું કે, તેઓ ગઈકાલે પણ કોળી સમાજ સાથે હતા, આજે પણ છે અને ભવિષ્યમાં પણ મોખરે રહેશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે હિરાભાઈ, પરસોતમભાઈ કે કુંવરજીભાઈ કોળી સમાજના નેતા છે અને રહેશે, તેમાં કોઈ બદલાવ આવશે નહીં. પ્રવિણ કોળીએ કોળી સમાજની છબી ખરાબ કરવાના ઈરાદાથી સોશિયલ મીડિયામાં પ્રચાર કરતા લોકોને ચેતવણી આપી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે હિરાભાઈએ કરેલા કાર્યોનો બદલો કોળી સમાજ ૨૦૨૭ની રાજુલા વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક બહુમતી આપીને આપશે.
પાટણ શહેરના જયવીરનગર સોસાયટી વિસ્તારમાં સફાઈના પાઉચ વેચવાના બહાને આવેલા બે અજાણ્યા શખસોએ એક વૃદ્ધ મહિલાના સોનાના દાગીના સાફ કરી આપવાની લાલચ આપી છેતરપિંડી આચરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ શખસોએ દાગીના સાફ કરવાના નામે કેમિકલનો ઉપયોગ કરી બંગડીઓમાંથી અડધાથી એક તોલા જેટલું સોનું ઓગાળી લીધું હતું. આ મામલે પાટણ શહેર A-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. સમગ્ર ઘટના શું હતી ?મૂળ ભાવનગર જિલ્લાના સિહોરના રહેવાસી પાર્વતીબેન ઠાકોર 25 માર્ચના રોજ પાટણ સ્થિત જયવીરનગર સોસાયટીમાં રહેતા તેમના બહેન સીતાબેનના ઘરે સામાજિક પ્રસંગમાં આવ્યા હતા. 3 એપ્રિલના રોજ સવારે આશરે 09:30 વાગ્યે જ્યારે તેઓ પરિવાર સાથે હાજર હતા, ત્યારે બે અજાણ્યા શખસો વાસણ સાફ કરવાના પાઉચ વેચવા માટે આવ્યા હતા. ઠગ ટોળકીએ વિશ્વાસ કેળવવા માટે સૌપ્રથમ એક સ્ટીલની ડિશ સાફ કરી બતાવી હતી. ત્યારબાદ, સોનાના દાગીના પણ નવા જેવા ચમકાવી આપવાની લાલચ આપી હતી. પાર્વતીબેન તેમની વાતોમાં આવી ગયા હતા અને પોતાના હાથમાં પહેરેલી આશરે 2 તોલા વજનની સોનાની બે બંગડીઓ સાફ કરવા આપી હતી. ઠગાઈની મોડસ ઓપરેન્ડીઆરોપીઓએ બંગડીઓને એક ટબમાં દસેક મિનિટ સુધી પલાળી રાખી હતી. ત્યારબાદ બ્રશથી સાફ કરી તેના પર હળદર જેવો પીળો લેપ લગાવી દીધો હતો. ઠગોએ એવી સૂચના આપી હતી કે આ લેપ સુકાઈ જાય પછી જ બંગડીઓ પહેરવી, અને આટલું કહી તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. તપાસમાં ભાંડો ફૂટ્યોથોડીવાર પછી જ્યારે મહિલાએ બંગડીઓ પરથી પાવડર હટાવ્યો, ત્યારે તેમને વજનમાં નોંધપાત્ર ઘટાડો જણાયો હતો. શંકા જતા પરિવારજનો સાથે જઈ સોની પાસે વજન કરાવતા બંગડીઓનું વજન માત્ર 15.3 ગ્રામ જણાયું હતું. આમ, સફાઈના નામે આરોપીઓએ આશરે 5 થી 10 ગ્રામ (અડધાથી એક તોલા) જેટલું સોનું કાઢી લીધું હોવાનું સામે આવ્યું હતું. પોલીસ કાર્યવાહીઆ ઘટના અંગે પાર્વતીબેને પાટણ શહેર A-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ BNS (ભારતીય ન્યાય સંહિતા)ની કલમ 318(2) અને 54 મુજબ ગુનો નોંધી, સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવા વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના લાખો લોકોના રસોડા સુધી પહોંચતા ભેળસેળિયા તત્વો પર સુરત પોલીસે લાલ આંખ કરી છે. પોલીસ કમિશનરની સૂચનાથી ચલાવવામાં આવેલું ‘અભિયાન શુદ્ધિ’ અત્યંત સફળ રહ્યું છે. જેમાં SOGએ લાખોની કિંમતનું શંકાસ્પદ પનીર અને ઘી જપ્ત કરી મોટી સફળતા મેળવી છે. આ કાર્યવાહી બાદ હવે ફૂડ વિભાગે પણ કડક વલણ અપનાવી હોટેલ-રેસ્ટોરન્ટ માટે નવા નિયમો જાહેર કર્યા છે. લોકોના સ્વાસ્થ્ય માટે ‘અભિયાન શુદ્ધિ’શહેરમાં ખાદ્યપદાર્થોમાં વ્યાપક ભેળસેળની ફરિયાદો બાદ સુરત પોલીસ કમિશનરે લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે ‘અભિયાન શુદ્ધિ’ શરૂ કર્યું હતું. આ મિશનની સંપૂર્ણ જવાબદારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને સોંપવામાં આવી હતી. SOG ની ટીમોએ શહેરના વિવિધ ગોડાઉનો અને ડેરીઓ પર દરોડા પાડીને તેલ અને કેમિકલથી બનતા ઘાતક ખાદ્ય પદાર્થોનો પર્દાફાશ કર્યો છે. 3,800 કિલો શંકાસ્પદ પનીર અને 9,000 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્તSOG ની તપાસમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. પોલીસે હાથ ધરેલી કાર્યવાહીમાં અંદાજે 3,800 કિલો શંકાસ્પદ પનીર ઝડપાયું છે, જેની કિંમત 9 લાખ રૂપિયા થાય છે. આશરે 9,000 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો છે, જેની બજાર કિંમત 67 લાખ રૂપિયા આંકવામાં આવી છે. કુલ મળીને પોલીસે 76 લાખથી વધુની કિંમતનો હાનિકારક જથ્થો ગ્રાહકો સુધી પહોંચતા અટકાવ્યો છે. હવે રેસ્ટોરન્ટમાં બોર્ડ મારવું ફરજિયાત: એનાલોગ કે ડેરી પનીર?પોલીસની આ મોટી કાર્યવાહી બાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ નવું જાહેરનામું બહાર પાડ્યું છે. હવે કોઈપણ પનીર વિક્રેતા, રેસ્ટોરન્ટ કે દુકાન સંચાલકે ફરજિયાતપણે પોતાની દુકાન પર બોર્ડ મારવું પડશે. આ બોર્ડમાં સ્પષ્ટ લખવું પડશે કે તેઓ વાનગીમાં કયા પનીરનો ઉપયોગ કરે છે. ગ્રાહકોને ખબર પડવી જોઈએ કે તેઓ જે ખાઈ રહ્યા છે તે દૂધમાંથી બનેલું શુદ્ધ પનીર છે કે પછી વનસ્પતિ તેલ અને પાઉડરમાંથી બનેલું 'એનાલોગ પનીર'. છેતરપિંડી કરનાર વેપારીઓ સામે BNS હેઠળ કેસ થશેનવા નિયમ મુજબ, જો કોઈ વેપારી દૂધનું પનીર હોવાનું કહીને ગ્રાહકોને એનાલોગ (નકલી) પનીર પીરસે છે અને ફૂડ તપાસમાં નમૂના નાપાસ થાય છે, તો તે ગંભીર ગુનો ગણાશે. આવા કિસ્સામાં દુકાનદાર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે. આ નિયમથી ગ્રાહકોને છેતરતા અને તેમના સ્વાસ્થ્ય સાથે રમત રમતા વેપારીઓ પર લગામ આવશે.

26 C