SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

35    C
...

વડોદરામાં નશામાં ધૂત થઈ બાઈક ચાલકે મહિલાને અડફેટે લીધી:મહિલા અને ચાલક બંને લોહીલુહાણ, આરોપીએ કહ્યું: મારો હાથ પકડો, મારા માથા પર પાણી નાંખો, મારી આંખ ખુલે પછી, જે કરવું હોય તે કરજો

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં ગઈકાલે રાત્રે નશામાં ધૂત થઈને બાઈક ચલાવતા યુવકે એક મહિલાને ટક્કર મારી હતી. જેમાં મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી. ઘટનાને પગલે ગોરવા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આરોપીની ધરપકડ કરી હતી અને તેની સામે અકસ્માતા અને પ્રોહીબિશનનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. નશાના ધૂત આરોપી વિવેક શેરબહાદુર શ્રીવાસ્તવે કહ્યું હતું કે, અરે, મારો હાથ તો કોઈ પકડો યાર. મારી વાત સાંભળો. મારા માથા પર થોડું પાણી નાખી આપો, મારી આંખ ખુલે પછી તમારે જે કરવું હોય તે કરજો, ખાલી માથા પર થોડું પાણી નાખી આપો.​ વડોદરા કરોડીયા રોડ પર રહેતા ફરિયાદી રીનાબેન હિતેશભાઈ વસાવા (ઉંમર 33 વર્ષ), એ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તા. 4 માર્ચના રોજ રાત્રીના આશરે 8.45 વાગ્યાના સુમારે રીનાબેન ઘરેથી ચાલવા માટે નીકળ્યા હતા અને તેઓ મધુનગર તરફ ગયા હતા. પરત ફરતી વખતે તેઓ મધુનગર પાસેથી રોડ ક્રોસ કરીને ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે એક મોટરસાયકલ ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવીને પાછળથી અથડાવી દીધી હતી. આ અકસ્માતમાં રીનાબેન રોડ પર પડી ગયા હતા અને તેમને માથાના કપાળના ભાગે, ડાબી આંખની પાંપણ પર, નાકના ભાગે તથા મોંના અંદરના ભાગે ઈજા થઈ હતી. અકસ્માત કરનાર બાઈક ચાલક પણ પોતાની સાયકલ સાથે રોડ પર પડી ગયો હતો. તે પણ ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની જાણ થતાં જ સોસાયટીના લોકો તથા તેમના પતિ હિતેશભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઈજાગ્રસ્ત રીનાબેનને તેમના પતિએ કારમાં બેસાડીને ગોત્રી જનરલ હોસ્પિટલમાં લઈ જઈને સારવાર અર્થે દાખલ કરાવી હતી. હાલ તેમની સારવાર ચાલુ છે. આ અકસ્માતમાં આરોપી વિવેક શેરબહાદુર શ્રીવાસ્તવ (રહે. રૂષીનગર, ગોરવા પોલીસ સ્ટેશનની બાજુમાં, ગોરવા, વડોદરા) સામે ગોરવા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે તેની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 10:54 am

ધુળેટીએ અસામાજિક તત્વોનો આતંક, CCTV:કતારગામમાં ગંદા પાણીની કોથળીઓ ફેંકી, મહિલાઓના કપડા ફાડ્યા; કડા-દંડાઓથી ઢોર માર માર્યો, વચ્ચે પડ્યા એમને પણ ફટકાર્યા

ડાયમંડ સિટીમાં શાંતિપૂર્ણ રીતે ઉજવાતા ધુળેટીના પર્વમાં કતારગામ વિસ્તારમાં અસામાજિક તત્વોએ માજા મૂકી હતી. કતારગામના બાપાસીતારામ ચોક પાસે આવેલી રૂક્ષ્મણી સોસાયટી નજીકથી પસાર થઈ રહેલા એક નિર્દોષ પરિવાર પર લુખ્ખા તત્વોએ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ હિચકારા હુમલામાં મહિલાઓ સહિત 12 જેટલા લોકોને ઇજા પહોંચી છે. ગંદા પાણીની કોથળીઓ ફેંકી વિવાદ છેડ્યોધુળેટીના દિવસે એક પરિવાર પોતાની ગાડીમાં સવાર થઈને રૂક્ષ્મણી સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે રસ્તા પર ઉભેલા કેટલાક લુખ્ખાતત્વોએ ગાડી પર ગંદા પાણીની કોથળીઓ ફેંકી હતી. પરિવારે આ બાબતે વિરોધ કરતા મામલો બિચક્યો હતો. અસામાજિક તત્વોએ દાદાગીરી કરી ગાડીની ચાવી કાઢી લીધી હતી અને અભદ્ર ગાળાગાળી શરૂ કરી દીધી હતી. કડા અને ફટકાઓથી ઢોર માર માર્યોઝઘડો એટલો ઉગ્ર બન્યો કે લુખ્ખાતત્વોએ ઉશ્કેરાઈ જઈને પરિવાર પર હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ હાથમાં પહેરેલા ભારે કડા અને લાકડાના ફટકાઓ વડે પરિવારના સભ્યોને બેરહેમ રીતે માર માર્યો હતો. આ દરમિયાન બચાવવા વચ્ચે પડેલા અન્ય યુવકો અને મહિલાઓને પણ છોડવામાં આવ્યા નહોતા. કુલ 12 જેટલા મહિલા અને પુરુષોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. CCTVમાં કેદ થઈ સમગ્ર ઘટનાઆ હુમલાની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે લુખ્ખાતત્વો રસ્તા પર આતંક મચાવી રહ્યા છે અને નિર્દોષ લોકોને નિશાન બનાવી રહ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો સ્મીમેર હોસ્પિટલ દોડી ગયો હતો અને ઇજાગ્રસ્તોના નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે CCTV ફૂટેજ કબજે કર્યા છે અને તેના આધારે હુમલાખોરોની ઓળખ કરી તેમને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 10:51 am

ગઢડાના ગોરડકા ગામે મારામારીની ફરિયાદ નોંધાઈ:ગાડી ધીમી ચલાવવાનું કહેતા હુમલો કરી મારી નાખવાની ધમકી આપી, ત્રણ સામે ફરિયાદ નોંધાઈ

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરડકા ગામમાં ગાડી ધીમી ચલાવવા બાબતે થયેલી મારામારી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ ગઢડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કેટલાક લોકોને ઈજાઓ પણ થઈ છે. બનાવની વિગત મુજબ, ગોરડકા ગામના રહેવાસી નિતેશભાઈ બાબુભાઈ ગોહિલ પોતાના ઘરની બહાર દુકાને બેઠા હતા. તે સમયે તેમના બાળકો શેરીમાં રમી રહ્યા હતા. આ દરમિયાન રાહુલભાઈ ભવાનભાઈ મેર પોતાની ફોર વ્હીલર ગાડી લઈને શેરીમાંથી પસાર થઈ રહ્યા હતા. શેરી સાંકડી હોવાને કારણે અને બાળકો રમતા હોવાથી નિતેશભાઈએ રાહુલભાઈને ગાડી ધીમી ચલાવવા જણાવ્યું હતું. આ વાત પર રાહુલભાઈ મેરે ગાળો આપી ઝઘડો શરૂ કર્યો હતો. ત્યારબાદ રાહુલભાઈએ તેમના ભાઈ સંજયભાઈ ભવાનભાઈ મેર અને ગેલાભાઈ સાતાભાઈ મેરને બોલાવી નિતેશભાઈ સાથે મારામારી કરી હતી. આ મારામારીમાં નિતેશભાઈ ગોહિલ અને અન્ય બે વ્યક્તિઓને ઈજાઓ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ગઢડા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. નિતેશભાઈ ગોહિલે રાહુલભાઈ મેર, સંજયભાઈ મેર અને ગેલાભાઈ મેર વિરુદ્ધ મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. ગઢડા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 10:49 am

દરેડ રોડ પર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ:10 ફૂટ ઊંચા ફુવારા સાથે હજારો લિટર પાણી વેડફાયું

જામનગરના દરેડ રોડ પર પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. આ ઘટનાને કારણે રસ્તા પર 10 ફૂટથી વધુ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા હતા, જેના પરિણામે હજારો લિટર પીવાનું શુદ્ધ પાણી વેડફાયું હતું. શહેરના છેવાડે આવેલા અને વ્યસ્ત દરેડ રોડ પર અચાનક આ ભંગાણ સર્જાતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પાઇપલાઇનમાં પાણીનું દબાણ વધુ હોવાથી પાણીના પ્રચંડ ફુવારા ઉડ્યા હતા, જે જોઈને રાહદારીઓ અને વાહનચાલકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.પાઇપલાઇન ફાટવાને કારણે ગણતરીની મિનિટોમાં જ આસપાસના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. દરેડ ગામ અને ઉદ્યોગનગર તરફ જતો મુખ્ય માર્ગ જળબંબાકાર થઈ ગયો હતો. રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને ટ્રાફિક સમસ્યા પણ સર્જાઈ હતી.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 10:31 am

ધૂળેટી પાર્ટીમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પડતા તોડફોડ મચાવી:અમદાવાદના 'બ્રજ વાઇબ્સ'ના આયોજકોની અસુવિધાથી લોકો ભભૂક્યા; ડીજે અને મંડપના સેટ ઉથલાવી હોબાળો મચાવ્યો

અમદાવાદના પોશ ગણાતા સિંધુભવન રોડ પર ધુળેટીની ઉજવણીમાં ભંગ પડ્યો હતો, જ્યાં 'બ્રજ વાઇબ્સ' દ્વારા આયોજિત પાર્ટીમાં મિસમેનેજમેન્ટનો આક્ષેપ કરી લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ગ્રીન પ્લેસ પાર્ટી પ્લોટમાં આયોજિત આ ઇવેન્ટમાં મ્યુઝિક બંધ થતાં અને સુવિધાઓના અભાવે રોષે ભરાયેલા યુવકોએ ડીજે સિસ્ટમ અને મંડપના ડેકોરેશનમાં તોડફોડ કરી હતી, જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. જોકે, આયોજકોએ લુખ્ખા તત્વો પર તોડફોડનો આરોપ લગાવ્યો છે. ઘટનાની જાણ થતાં બોપલ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને સમજાવટ બાદ મામલો થાળે પાડ્યો હતો. હાલ આ મામલે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી,પરંતુ આયોજકો દ્વારા રિફંડ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આયોજકોની અસુવિધાને પગલે ખેલૈયાઓ રોષે ભરાયા હતાસિંધુ ભવન રોડ પર ગ્રીન પ્લેસ પાર્ટી પ્લોટમાં બ્રજ વાઇબ્સના આયોજકો દ્વારા એક ધૂળેટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં આયોજકો દ્વારા પાસ માટેની ફી વસુલ્યા બાદ એ પ્રમાણેની સુવિધાઓ ન આપવામાં આવતા ખેલૈયાઓ રોષે ભરાયા હતા અને પાર્ટી પ્લોટમાં તોડફોડ મચાવી હતી. જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. ચાર-પાંચ લુખ્ખા તત્વોએ કૃત્ય કર્યું હતું: પાર્ટી આયોજકબ્રજ વાઇબ્સ ધુળેટી પાર્ટીનું આયોજન કરનાર વીરસિંઘે જણાવ્યું હતું કે, ધુળેટી પાર્ટીનું આયોજન અમારા તરફથી કરવામાં આવ્યું હતું. જેમાં ડીજે અને તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ કેટલાક ચાર પાંચ જેટલા લુખ્ખા તત્વો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હતું. હું આખો દિવસ ત્યાં હતો અને ડીજે આર્ટિસ્ટ પણ લાવવામાં આવ્યા હતા. વચ્ચે એક વખત મ્યુઝિક બંધ થયું હતું જે બાદ કેટલાક લોકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. કેટલાક ચોક્કસ તત્વો દ્વારા આ કરવામાં આવ્યું હતું જેના ફોટા અને વીડિયો પણ મારી પાસે છે. પોલીસ બોલાવવામાં આવી હતી અને પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો. લોકોને રિફંડ આપવાની પ્રક્રિયા પણ કરવામાં આવી રહી છે. પાર્ટી પ્લોટના તોડફોડના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલસોશિયલ મીડિયામાં ધુળેટીની પાર્ટીમાં અવ્યવસ્થા અને યોગ્ય મેનેજમેન્ટ ન હોવાને લઈને તોડફોડ કરવામાં આવી હોવા અંગેનો વીડિયો વાઇરલ થયો હતો. વાઇરલ વીડિયો શહેરના સિંધુભવન રોડ પર બ્રજ વાઇબ્સ નામની ધુળેટીની પાર્ટીનો હોવાનું જાણવા મળ્યું હતું. લોકો દ્વારા પાર્ટી પ્લોટમાં તોડફોડ કરવામાં આવી હતી અને ડીજે પાડી દેવામાં આવ્યા હતા. પાર્ટી કરવા માટે મંડપ લગાવવામાં આવ્યા હતા અને જે ડેકોરેશન કરવામાં આવ્યું હતું તેમાં પણ તોડફોડ કરવામાં આવી હતી અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યોતોડફોડ અને હોબાળો કરવામાં આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી બોપલ પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસ દ્વારા સ્થળ પર લોકોને સમજાવવામાં આવ્યા હતા, તેમજ આયોજકો સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ સમગ્ર બાબતે પોલીસે સમજાવટ કરી હતી અને મામલો થાળે પાડ્યો હતો. જો કે, આ બાબતે હવે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 10:10 am

ન્હાવા ગયેલા 2 મિત્રોમાંથી એક ડૂબ્યો:વડોદરા પાસે ધૂળેટીના દિવસે મહીસાગર નદી અને નર્મદા કેનાલમાં અલગ અલગ બનાવોમાં 3 યુવક ડૂબ્યા, એકનો મૃતદેહ મળ્યો, બેની શોધખોળ ચાલુ

વડોદરા શહેર અને આસપાસના વિસ્તારમાં ધૂળેટીના દિવસે મહીસાગર નદી અને નર્મદા કેનાલમાં અલગ અલગ બનાવોમાં 3 યુવક ડૂબ્યા હતા. જેમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે બે યુવકની શોધખોળ ચાલી રહી છે. વડોદરા શહેરની સમા-છાણી નર્મદા કેનાલમાં ગત સાંજે 25 વર્ષીય યુવક અજય શર્મા તેના મિત્ર સાથે ન્હાવા માટે ગયો હતો. જેમાં ન્હાતી વખતે અજય શર્મા અચાનક ડૂબવા લાગ્યો હતો. ઘટનાની જાણ થતા વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના દોડી ગઈ હતી અને યુવકની શોધખોળ શરૂ કરી હતી. જોકે મોડી રાત સુધી યુવકનો કોઈ પતો લાગ્યો ન હતો. જેથી આજે ફરી શોધખોળ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક કોર્પોરેટર મહાવીર રાજપુરહિતે જણાવ્યું હતું કે, ઘટના વડોદરાના વોર્ડ નંબર 2 વિસ્તારમાં આવેલી સમા-છાણી નર્મદા કેનાલ પાસે બની છે. આ કેનાલનો ભાગ ચામુંડા નગર તરફ આવેલો છે. બે યુવાનો અહીં કેનાલમાં સ્નાન કરવા માટે આવ્યા હતા. સ્નાન કરતી વખતે તેમાંથી એક યુવાન પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. યુવાનના પરિવાર દ્વારા ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી. આ માહિતી મળતા જ તુરંત ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગને જાણ કરવામાં આવી હતી.હાલ ફાયર બ્રિગેડના જવાનો અને યુવાનો સ્થળ પર હાજર છે. તેઓ દ્વારા કેનાલમાં ડૂબેલા યુવાનનો મૃતદેહ શોધવાના પ્રયાસો ચાલુ છે. બીજી તરફ તો વડોદરા નજીક ભીમપુરા ચેકપોસ્ટ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં 25 વર્ષનો યુવક આશિષ વર્મા ડૂબ્યો હતો. ઘટનાની જાણ થતા વડીવાડી ફાયર સ્ટેશનની ટીમ ટીમ ઘટના ધરી દોડી ગઈ હતી અને એક કલાકની જહેમત મૃતદેહને બહાર કાઢ્યો હતો. 108 એમ્બ્યુલન્સની ટીમે સીપીઆર આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવકનો જીવ બચી શક્યો નહોતો. પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. ત્રીજી ઘટનામાં ઉમેટા મહીસાગર બ્રિજ પાસે મહીસાગર નદીમાં એક ડૂબ્યો હતો. જેની જાણ થતાં વડોદરા ફાયર બ્રિગેડની ટીમે તેની શોધખોળ શરૂ કરી છે. જોકે હજુ સુધી યુવકનો કોઈ પત્તો લાગ્યો નથી.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 9:59 am

ગાંધીનગર ફાયર બ્રિગેડના જવાનો દેવદૂત બન્યા:સુઘડ કેનાલમાં મોતની છલાંગ લગાવનાર મહિલાને ગણતરીની મિનિટોમાં ઉગારી; ધૂળેટીએ નવજીવન આપ્યું

હોળી અને ધૂળેટીના પવિત્ર પર્વની ઉજવણી વચ્ચે ગાંધીનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની સમયસૂચકતા અને સતર્કતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી. સુઘડ નર્મદા કેનાલમાં આત્મહત્યાના ઈરાદે કૂદેલી મહિલાને ઓનડ્યુટી ફાયર જવાનોએ ગણતરીની મિનિટોમાં જ સહી સલામત બહાર કાઢી નવજીવન આપ્યું હતું. મહિલાને કેનાલમાં કૂદતા જોઈ ફાયર જવાનો પણ બચાવવા કૂદ્યાહોળી અને ધૂળેટીના પવિત્ર પર્વની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં માટે આ વખતે નદી અને કેનાલ વિસ્તારોમાં 26 ટીમો અને 52 જવાનો ખડેપગે તહેનાત કરવામાં આવ્યા હતા . ત્યારે ગઈકાલે સાંજે સુઘડ નર્મદા કેનાલ પાસે ફરજ પર તહેનાત ફાયરમેન રાકેશ કટારા અને હરેશ રાવળે એક મહિલાને કેનાલમાં કૂદતા જોઈ હતી. જેના પગલે સેકન્ડોનો પણ વિલંબ કર્યા વિના બંને જવાનોએ કેનાલના ધસમસતા પાણીમાં ઝંપલાવ્યું હતું. ભારે જહેમત બાદ મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. રેસ્ક્યૂ બાદ મહિલાને 112 જનરક્ષક પોલીસ મોબાઈલને સોંપવામાં આવી હતી. શહેરના તમામ જળાશયો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતોમહત્વનું છે કે, ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ જળાશયો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રંગોનો આ તહેવાર કોઈ પરિવાર માટે માતમમાં ન ફેરવાય તે હેતુથી અમે 26 સ્પેશિયલ ટીમો બનાવી હતી. તારીખ 2થી 4 માર્ચ દરમિયાન સવારે 9થી રાત્રે 8 વાગ્યા સુધી 52 જવાનો સતત પેટ્રોલિંગમાં હતા. સતત મોનિટરિંગને પગલે એકપણ ડૂબી જવાનો કોલ મળ્યો ન હતોટીમ દ્વારા સાબરમતી નદી અને નર્મદા કેનાલના વિસ્તારો જેવા કે સેક્ટર 30 બ્રિજ, સંત સરોવર, કોટેશ્વર મહાદેવ, શાહપુર બ્રિજ અને ગિફ્ટ સિટી સિગ્નેચર બ્રિજ, ભાટ ટોલ પ્લાઝા, ધોળેશ્વર મહાદેવ કરાઈ સાયફન, નભોઈ, સુઘડ અને ઝુંડાલ કેનાલ સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. જેના લીધે સાંજના સાત વાગ્યા સુધીમાં પાણીમાં ડૂબી જવાનો એક પણ ગંભીર કોલ નોંધાયો નહતો. અગાઉ ગણેશ વિસર્જન દરમિયાન પણ ફાયર વિભાગે આ જ રીતે સરાહનીય કામગીરી કરી હતી.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 9:31 am

ધુળેટીનાં પાવન પર્વે નવજીવન આપ્યું:અશોકભાઈ સાવલિયાએ છ વર્ષ કિડનીની પીડા વેઠી, પણ જતાં-જતાં લીવરદાનથી એક પરિવારમાં નવા રંગ ભર્યા

માનવતાનો સૌથી મોટો ધર્મ 'પરોપકાર' છે, અને આ વાતને સાંગણવા ગામના એક સાધારણ ખેડૂત પરિવારે સાચી કરી બતાવી છે. જેમાં 52 વર્ષીય અશોકભાઈ સાવલિયા, જેઓ પોતે છેલ્લા 6 વર્ષથી કિડની ફેલ્યુર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા અને નિયમિત ડાયાલિસિસ પર હતા, તેમની વિદાય વેળાએ તેમના પરિવારે લીવરનું દાન કરી એક અન્ય વ્યક્તિને મરણપથારીએથી બેઠી કરી છે. ધૂળેટીના પાવન પર્વે જ્યારે આખું જગત રંગોથી રમી રહ્યું હતું, ત્યારે અશોકભાઈના પરિવારે કોઈના જીવનમાં ખુશીઓના કાયમી રંગ ભરવાનો ઉમદા નિર્ણય લીધો હતો. તારીખ 3 માર્ચ 2026ની એ સવાર અશોકભાઈના પરિવાર માટે કાળમુખી સાબિત થઈ. દર વખતની જેમ અશોકભાઈ ડાયાલિસિસ માટે નીકળ્યા હતા, પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. રસ્તામાં અચાનક માથું દુખવા લાગ્યું અને જોતજોતામાં તેઓ બેભાન થઈ ગયા. તેમને તાત્કાલિક ઓલમ્પસ હોસ્પિટલ ખસેડાયા, જ્યાં તબીબોએ તપાસ બાદ જણાવ્યું કે તેમને બ્રેઈન હેમરેજ થયું છે અને બચવાની શક્યતા નહિવત છે. જે વ્યક્તિ પોતે વર્ષોથી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી ફરીથી સ્વસ્થ થવાના સપના જોતી હતી, આજે એ જ વ્યક્તિ જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી. આ કપરા સમયે દિવ્યમ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર નિશાબેન મહેતાએ અશોકભાઈના પુત્ર મીતભાઈને એક નવી રાહ ચીંધી. તેમણે સમજાવ્યું કે ભલે અશોકભાઈની કિડનીઓ કામ નથી કરતી, પણ જો તેમનું લીવર સારું હોય તો તે કોઈના મૃત્યુના મુખમાંથી બચાવી શકે છે. મીતભાઈએ પોતાના અંગત દુઃખને બાજુ પર મૂકી, ડો. દિવ્યેશ વિરોજા પાસે અંગદાનની સંપૂર્ણ માહિતી લીધી. પત્ની ઉષાબેન, દીકરી આરઝૂબેન અને પરિવારના તમામ સભ્યોએ એક સૂરે સંમતિ આપી કે, અમારા સ્વજન ભલે અમારી વચ્ચે ન રહે, પણ તેમના અંગો કોઈના શરીરમાં ધબકતા રહે તો તેનાથી મોટી શ્રદ્ધાંજલિ બીજી શું હોઈ શકે? ઓલમ્પસ હોસ્પિટલમાં રજીસ્ટ્રેશનની ટેકનિકલ મર્યાદાઓને કારણે, અશોકભાઈને તાત્કાલિક બી ટી સવાણી કિડની હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા. અહીં ડો. કાર્તિક કાછડીયા, ડો. કરણ મોઢવાડિયા અને ડો. આનંદ કારીયા સહિતની ટીમે તેમને 'બ્રેઈન ડેડ' જાહેર કર્યા. કોર્ડીનેટર ડો. અમિત ગોહેલે ત્વરિત ગતિએ SOTTO સાથે સંકલન સાધ્યું. સુરતની કિરણ હોસ્પિટલની ટીમ લિવર લેવા માટે રાજકોટ દોડી આવી હતી. અને ધુળેટીનાં દિવસે તા. 4 માર્ચ 2026ના રોજ અશોકભાઈના લિવર મેળવવાનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું હતું. રાજકોટ ટ્રાફિક પોલીસના સહયોગથી 'ગ્રીન કોરિડોર' બનાવવામાં આવ્યો અને આ લિવરને એર એમ્બ્યુલન્સ મારફતે સુરત મોકલવામાં આવ્યું, જ્યાં તે એક દર્દીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરી તેને નવું જીવન આપવામાં આવ્યું. ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ભાવનાબેન મંડલીએ પણ પરિવારને આ હિંમતભર્યા નિર્ણયમાં સાંત્વના આપી સાથ આપ્યો હતો. અને જણાવ્યુ હતુ કે, અશોકભાઈ સાવલિયાના પરિવારે જે બલિદાન આપ્યું છે, તે સમાજ માટે દીવાદાંડી સમાન છે. જે વ્યક્તિએ પોતે વર્ષો સુધી બીમારીની વેદના સહન કરી હોય, તેના પરિવારે બીજાની વેદના સમજીને જે ઉદારતા દાખવી છે તે ખરેખર વંદનીય છે. આજે અશોકભાઈ આપણી વચ્ચે નથી, પણ તેમના લિવર થકી એક અજાણ્યા વ્યક્તિને નવજીવન મળશે.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 9:30 am

નેપાળમાં ચૂંટણીના કારણે 60 ગુજરાતીઓ ફસાયા:આજે ભારત પરત ફરવાનું હતું; ઉત્તરપ્રદેશ નજીકની સૌનોલી બોર્ડર બંધ

નેપાળમાં Gen Z આંદોલન બાદ આજે 5 માર્ચના રોજ સામાન્ય ચૂંટણી યોજાઈ છે. નેપાળમાં ચૂંટણીના કારણે દેશની બોર્ડર બંધ કરી દેવામાં આવેલી છે. ભારત-નેપાળની સૌનોલી બોર્ડર બંધ કરી દેવામાં આવતા 60 જેટલા ગુજરાતીઓ હાલ ત્યાં ફસાયેલા છે. તેઓ નેપાળથી આજે ભારત આવવાના હતા, પરંતુ ચૂંટણીના કારણે બોર્ડર બંધ કરવામાં આવી છે જેના કારણે બોર્ડર પર તેઓ ફસાઈ ગયા છે. 24 જેટલા લોકોની આજે ગુજરાત(અમદાવાદ) આવવા માટેની ફ્લાઈટ છે, પરંતુ નેપાળની બોર્ડરથી ભારતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. જેના કારણે બોર્ડર નજીક હોટલમાં તેઓ ફસાઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે સાંજે 5 વાગ્યે જ્યારે ચૂંટણી પૂર્ણ થશે ત્યારે જ બોર્ડર ખોલવામાં આવશે એવું નેપાળના અધિકારીઓએ કહ્યું હોવાનું જાણવા મળ્યું છે. ચૂંટણીના કારણે ભારત-નેપાળ બોર્ડર પર 60 ગુજરાતી ફસાયાઅમદાવાદથી નેપાળ ગયેલા ભૂપેન્દ્ર શાહએ જણાવ્યું હતું કે નેપાળ ફરવા માટે ગયા હતા આજે ભારત પાછા આવવાના હતા, પરંતુ નેપાળમાં ચૂંટણીના કારણે બોર્ડર બંધ કરી દેવામાં આવી છે. ભારતના ઉત્તરપ્રદેશ પાસેની નેપાળને જોડતી સૌનોલી બોર્ડર પર અત્યારે 60થી વધારે ગુજરાતીઓ છે. અમદાવાદ-મહેસાણા સહિત અલગ અલગ શહેરોમાંથી નેપાળ આવેલા ગુજરાતીઓને આજે ગુજરાત પરત ફરવાનું છે, પરંતુ બોર્ડર બંધ છે જેના કારણે તેઓ ભારતમાં પ્રવેશ મેળવી શકતા નથી. બોર્ડર પાસે હોટલમાં રહેવા મજબૂરબોર્ડર બંધ હોવાના કારણે કોઈપણ નાગરિકને ભારતમાં જવા દેવામાં આવતા નથી. જેથી બોર્ડર પાસે આવેલી હોટલમાં અત્યારે તેમને રહેવું પડ્યું છે. આજે અનેક લોકોની ફ્લાઈટ પણ છે. ભારતથી ગુજરાત જવા માટેની ફ્લાઈટ હોવાથી અનેક વખત રજૂઆત કરી, પરંતુ નેપાળ તરફથી ભારતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. જેના કારણે લોકોને ખૂબ મોટું નુકસાન થશે. ભારતમાં પ્રવેશ મળે તેવી વ્યવસ્થા કરવા માગગુજરાતના અને અમદાવાદના લોકોએ અપીલ કરી છે કે નેપાળની બોર્ડરથી તેમને ભારતમાં પ્રવેશ મળે એ પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવે. જેનાથી તેઓ સમયસર પોતાના ઘરે પરત પહોંચી શકશે. આજે વતન પહોંચી શકશે નહીંગુજરાતી સહિત જે લોકો ભારતના અલગ અલગ શહેરો અને રાજ્યોમાં રહે છે એવા લોકો પણ સૌનોલી બોર્ડર ઉપર ફસાઈ ગયા છે. ભારત-નેપાળની બોર્ડર સીલ કરી દેવામાં આવી હોવાના કારણે આજે સવારથી જ જે લોકોને ફ્લાઇટ અને ટ્રેન મારફતે પોતાના વતનમાં ઘરે પરત પહોંચવાનું છે તેઓ આજે પહોંચી શકશે નહીં.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 9:17 am

સાકરિયા ગામે 500 કિલો ગુલાલ સાથે લઠમાર દાંડીયા:ધુળેટી પર્વની પરંપરાગત ઉજવણી ઢોલના તાલે

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાકરિયા ગામે ધુળેટી પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા અનુસાર, સમી સાંજે ગામ તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા હતા. ગામના લક્ષ્મીનારાયણ મંદિરના ચોકમાં આશરે 10 જેટલા ઢોલ-નગારાના ગર્જતા તાલે લઠમાર દાંડીયા રમવામાં આવ્યા હતા. ગ્રામજનોએ હાથમાં લાકડીઓ વીંઝીને આ પરંપરાગત રમતનો આનંદ માણ્યો હતો. આ દાંડીયા દરમિયાન આશરે 500 કિલો જેટલો ગુલાલ ગવૈયાઓ અને રમતા યુવાનો પર ઉડાડવામાં આવ્યો હતો. ઢોલના તાલ, લાકડીઓના અથડામણના અવાજ અને ગુલાલની છટાએ ગામમાં ઉત્સવમય માહોલ સર્જ્યો હતો. સાકરિયા ગામની આ વિશિષ્ટ પરંપરા વર્ષોથી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. આ લઠમાર દાંડીયાની ઉજવણી નિહાળવા અરવલ્લી ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ લોકપરંપરા માત્ર રંગોની ઉજવણી નથી, પરંતુ ગ્રામ્ય એકતા, પરંપરા અને સાંસ્કૃતિક વારસાનું પ્રતિક છે.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 9:10 am

દમણ નાઈટ બજારમાં ધુળેટી રાત્રે સહેલાણીઓ વચ્ચે મારામારી:વીડિયો વાયરલ થતાં પોલીસ કામગીરી પર ઉઠ્યા સવાલ

દમણના પ્રખ્યાત નાઈટ બજારમાં ધુળેટીની રાત્રે સહેલાણીઓ વચ્ચે જાહેરમાં મારામારી થઈ હતી. નજીવી બાબતે શરૂ થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં દમણ પોલીસની કામગીરી અને પ્રવાસીઓની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે. વલસાડ જિલ્લાને અડીને આવેલું સંઘ પ્રદેશ દમણ પર્યટન માટે જાણીતું છે. ધુળેટીની રજા માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ નાઈટ બજારમાં ઉમટ્યા હતા. આ દરમિયાન ભીડમાં કોઈ બાબતે બે જૂથો વચ્ચે માથાકૂટ થઈ હતી, જે જોતજોતામાં મારામારીમાં પરિણમી હતી. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બે યુવાનો રસ્તા વચ્ચે એકબીજાને લાતો અને મુક્કા મારી રહ્યા છે. આસપાસ હાજર પરિવાર સાથે આવેલા પ્રવાસીઓમાં નાસભાગ મચી ગઈ હતી. સમગ્ર મારામારી દરમિયાન પેટ્રોલિંગ કરતી પોલીસની ટીમ ક્યાંય દેખાતી ન હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, તહેવારોના સમયે જ્યારે હજારોની મેદની એકઠી થતી હોય છે, ત્યારે પોલીસનું પેટ્રોલિંગ માત્ર નામ પૂરતું જ હોય છે. જો પોલીસની હાજરી હોત તો સહેલાણીઓ આ રીતે કાયદો હાથમાં લેવાની હિંમત ન કરત. અગાઉ પણ આવી જૂથ અથડામણ થઈ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કડક પગલાં લેવાયા નથી. એક જાગૃત સ્થાનિક નાગરિકે જણાવ્યું હતું કે, આવી ઘટનાઓથી દમણની છબી ખરડાય છે. જો પોલીસ સમયસર પેટ્રોલિંગ કરે અને અસામાજિક તત્વોને પાઠ ભણાવે તો જ પ્રવાસીઓ સુરક્ષિત અનુભવશે. દમણ પોલીસે આવા તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરી ઉદાહરણ બેસાડવાની માંગ ઉઠી છે. દમણ SP કેતન બંસલે આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે નાઈટ બજારમાં મારામારીની જાણ સ્થાનિક લોકોએ 112ની ટીમ દ્વારા પોલીસને કરી હતી. દમણ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે હુમલાખોરો અને ભોગ બનનાર ત્યાંથી જતા રહ્યા હતા. અત્યાર સુધી ભોગ બનનાર તરફથી કોઈ પોલીસ ફરિયાદ કે ઘટના અંગેની જાણકારી આપવામાં આવી નથી. SP કેતન બંસલે વધુમાં જણાવ્યું કે, ઘટનાની ગંભીરતા જોતા હાલ દમણ પોલીસ દ્વારા સ્થાનિક લોકોની મદદ લઈને ઘટનાનું કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. SP બંસલે ઉમેર્યું હતું કે, જો કોઈ કલ્યું મળશે તો દોષીતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, તહેવારોના સમયે દમણમાં પ્રવાસીઓ વધારે આવતા હોવાથી પોલીસની ટીમનું પેટ્રોલિંગ વધારવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 9:00 am

દહીસર સોલાર પ્લાન્ટમાં 1.73 લાખની ચોરી:તસ્કરોએ કોપર કેબલ સહિતના સાધનોને નુકસાન પહોંચાડ્યું

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના દહીસર ગામે આવેલા પી.એલ.જી. ફોટો વોલ્ટેક સોલાર પ્લાન્ટમાં મોટી ચોરી થઈ છે. અજાણ્યા તસ્કરોએ પ્લાન્ટમાંથી 1.73 લાખ રૂપિયાની કિંમતના કોપર કેબલ સહિતના સાધનોની ચોરી કરી નુકસાન પહોંચાડ્યું છે. આ અંગે વારાહી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પ્લાન્ટના સાઇડ ઇન્ચાર્જ મહેંદ્રસિંહ ધીરૂભા વાઘેલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, 14 ફેબ્રુઆરી, 2026ના રાત્રિના 10 વાગ્યાથી 16 ફેબ્રુઆરીના સવારના 10 વાગ્યા દરમિયાન આ ઘટના બની હતી. તસ્કરોએ પ્લાન્ટના પાછળના ભાગે આવેલી લોખંડની જાળી તોડી અંદર પ્રવેશ કર્યો હતો. 16 ફેબ્રુઆરીના રોજ સવારે પ્લાન્ટમાં પાવર જનરેશન ઓછું જણાતા સ્ટાફ દ્વારા તપાસ કરાઈ હતી, ત્યારે ચોરીનો ખુલાસો થયો. તસ્કરો 4000 મીટર કોપર કેબલ (કિંમત રૂ. 1,52,000), 500 એમ.સી. ફોર કનેક્ટર (કિંમત રૂ. 10,000) અને 200 મીટર ઓન ડ્યુટ પાઇપ (કિંમત રૂ. 11,000) ચોરી ગયા હતા. આમ, કુલ રૂ. 1,73,000ની મિલકતની ચોરી અને નુકસાન થયું છે. કંપની દ્વારા આંતરિક તપાસ અને હેડ ઓફિસથી બિલ મંગાવવામાં સમય લાગતા પોલીસ ફરિયાદ મોડી નોંધાઈ હતી. વારાહી પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 303(2), 329(3), 324(5) અને 54 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર યોગેશકુમાર નાગજીભાઈ પટેલ આ કેસની તપાસ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 8:55 am

કાલુપુર બ્રિજ પાસે સેવ બનાવવાની 3 ફેક્ટરીઓમાં વિકરાળ આગ:જીવ બચાવવા ધાબા પરથી કૂદતા બે યુવકો ઈજાગ્રસ્ત, ફાયર બ્રિગેડે 5 કલાકે આગ કાબૂમાં લીધી

અમદાવાદ શહેરના કાલુપુર ઓવરબ્રિજ નજીક શહેરકોટડા પોલીસ સ્ટેશન સામે સરસપુર ઇંટવાડામાં સેવ બનાવવાની ત્રણ ફેક્ટરીઓમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ગોમતીપુર, પાંચકુવા અને નરોડા સહિતના ફાયર સ્ટેશનની 16 ગાડીઓ ઘટના સ્થળ ઉપર રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા એક કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી. ફેક્ટરીઓની પાછળના ભાગે મન્સૂરીની ચાલી આવેલી હતી જેમાં અનેક લોકો રહેતા હતા. જોકે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ચાલી બાજુથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો જેથી આગ ચાલીઓ સુધી પહોંચી નહોતી. જો કે, આગ લાગતા ઉપર સૂતેલા બે લોકો બચવા જતા નીચે કૂદ્યા હતા જેથી તેઓને વાગતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્રણ જેટલી ફેક્ટરીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુંમળતી માહિતી મુજબ, કાલુપુર ઓવરબ્રિજ પાસે સરસપુરના ઇંટવાડામાં ગળી સેવ બનાવવાનું કારખાનું આવેલું છે. મોડી રાત્રે 3:00 વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે, સેવ બનાવવાના કારખાનામાં આગ લાગવાની ઘટના બની છે. જેથી પાંચકુવા અને નરોડા ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળ ઉપર રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ત્યારે ત્રણ જેટલી ફેક્ટરીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખા કારખાનામાં આગ ફેલાઈ ગઈ હતી. કારખાનાની પાછળના ભાગે એક જ દીવાલે ચાલી આવેલી હતી જેમાં 50થી વધારે મકાનો હતા. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ચાલીના મકાનો બાજુથી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડે સતત પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધીઆગ ખૂબ જ વીકરાળ હતી જેના કારણે આસપાસની ઓરડીઓમાં ફેલાઈ જતા 108 એમ્બ્યુલન્સને પણ જાણ કરવામાં આવી હતી, તેમજ બીજી ફાયરબ્રિગેડ ગાડીઓ પણ બોલાવવામાં આવી હતી. મણિનગર અને થલતેજ ફાયર સ્ટેશનના અધિકારી અને કર્મચારી પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવી સવારે 7:30 વાગ્યે આગને સંપૂર્ણ પણે કાબૂમાં લઈ લેવામાં આવી હતી. આગથી બચવા બે યુવકો નીચે કૂદતાં ઈજાગ્રસ્ત થયાઆગ લાગી ત્યારે નજીકના મકાનમાં ધાબા ઉપર બે લોકો સુતા હતા જે બચવા માટે ત્યાંથી નીચે કૂદ્યા હતા. જેમાં તેમને ઈજા થતાં તરત જ 108માં સારવાર માટે હોસ્પિટલ મોકલ્યા હતા. સેવની ફેક્ટરીમાં રાત્રે આગ લાગવાની ઘટનામાં ચાલીના રહીશોમાં પણ ગભરાટનો અને ભયનો માહોલ જોવા મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 8:50 am

સુરેન્દ્રનગરમાં યોગ સાથે ધુળેટીની ઉજવણી:યોગ સંચાલકે કુદરતી રંગોથી હોળી રમવા માહિતી આપી

સુરેન્દ્રનગરમાં ઓમ સિદ્ધિ યોગ ક્લાસિસ દ્વારા યોગ અને ધુળેટીના પર્વનો અનોખો સમન્વય જોવા મળ્યો. જીજ્ઞાબેન શાહના નેતૃત્વ હેઠળ 20થી વધુ બહેનોએ સવારે સૂર્યનમસ્કાર અને પ્રાણાયામ કરીને ધુળેટીની ઉજવણી કરી. આ પ્રસંગે જીજ્ઞાબેને રસાયણમુક્ત કુદરતી રંગોથી ઉત્સવ ઉજવવાની સલાહ આપી હતી. તેમણે જણાવ્યું કે આ તહેવાર વસંતના આગમન સાથે પ્રકૃતિ સાથે જોડાવા અને ભાઈચારાનું પ્રતીક છે. યોગ સાથે ધુળેટી ઉજવણીના ભાગરૂપે, રંગ રમવાની શરૂઆત કરતા પહેલા 30 મિનિટ યોગાસન કરવાની ભલામણ કરવામાં આવી હતી. ખાસ કરીને સૂર્યનમસ્કાર, જે શરીરને ગરમી આપે છે, અને ભ્રામરી કે અનુલૉમ-વિલૉમ જેવા પ્રાણાયામ માનસિક શાંતિ વધારવામાં મદદરૂપ થાય છે. સિન્થેટીક કેમિકલ યુક્ત રંગોને બદલે કેસુડાના ફૂલ, હળદર અને ચંદન જેવા કુદરતી હર્બલ રંગોનો ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો, જે ત્વચા માટે સુરક્ષિત છે. શારીરિક કાળજીના ભાગરૂપે, રંગ રમતા પહેલા ચામડી પર તેલ કે મોઇશ્ચરાઇઝર લગાવવાની પણ સૂચના આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 8:15 am

બોટાદ LCBએ દારૂ ભરેલો ટ્રક ઝડપ્યો:ગઢડાના ઉમરડા નજીકથી ₹52.71 લાખનો મુદ્દામાલ જપ્ત, અમરેલીના બે શખ્સોની ધરપકડ

બોટાદ LCB પોલીસે ગઢડા તાલુકાના મોટા ઉમરડા ગામ નજીકથી વિદેશી દારૂ ભરેલો એક ટ્રક ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રકમાંથી ₹27.40 લાખની કિંમતનો દારૂ અને ટ્રક સહિત કુલ ₹52.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે અમરેલીના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. બોટાદ LCB PI એમ. જી. જાડેજા અને PSI પટેલઅને તેમની ટીમને બાતમી મળી હતી કે, વિદેશી દારૂનો જથ્થો ભરેલો એક ટ્રક ભાવનગરથી અમરેલી તરફ જઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે મોટા ઉમરડા ગામ પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબનો ટ્રક આવતા પોલીસે તેને રોક્યો હતો અને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ટ્રકમાંથી ₹27.40 લાખની કિંમતની 8784 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને ટ્રક સહિત કુલ ₹52.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં પોલીસે અમરેલીના રાકેશ ભીમજી મોરી અને કિશન સુરેશ દવે નામના બે શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 8:01 am

પોરબંદર LCBનું ગાંધીનગરમાં ઓપરેશન:અપહરણ-ખંડણી અને કરોડોની સાયબર છેતરપિંડીમાં સંડોવણાયેલા બે સહઆરોપીને કલોલથી ઉઠાવ્યા

પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) દ્વારા વર્ષ ૨૦૨૫માં નોંધાયેલા અપહરણ, ખંડણી વસૂલાત અને કરોડો રૂપિયાની સાયબર છેતરપિંડીના ગંભીર ગુનામાં ફરાર રહેલા બે સહઆરોપીઓને ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં પાર્થ ઉર્ફે લાલો મહેન્દ્રભાઈ સોનગેલા (ઉંમર ૨૬, રહે. ભાણવડ, જી. દેવભૂમિ દ્વારકા) અને રાજુ બાલુભાઈ પરમાર (ઉંમર ૩૫, રહે. છાંયા નવાપરા, પોરબંદર)નો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ૭૦ લાખ રૂપિયાની ખંડણી વસૂલવા પૂર્વ આયોજિત કાવતરું ઘડીને તા. ૧૧/૦૪/૨૦૨૫ની રાત્રે ચારથી પાંચ અજાણ્યા આરોપીઓ ફરિયાદીના ઘરે ઘૂસી ગયા હતા. તેમણે ફરિયાદી, તેમના જમાઈ ભાનુભાઈ અને સાળી ગીગીબેનનું અપહરણ કરી કાળા રંગની કારમાં લઈ ગયા હતા. તેમને એક આરોપીના બંગલે ગેરકાયદેસર બંધક બનાવી, ફરિયાદીની દીકરી સાથે વીડિયો કોલ પર વાત કરાવી નાણાં આપવા દબાણ કર્યું હતું. પાંચ દિવસ બાદ અન્ય આરોપી દ્વારા ફરિયાદીની દીકરીના દીકરા રણજીતનું રાણાવાવ ખાતેથી અપહરણ કરી તેને પણ તે જ સ્થળે બંધક બનાવવામાં આવ્યો હતો. આરોપીઓએ મારપીટ, ઢીકાપાટુ અને આડકતરી રીતે જાનથી મારી નાખવાની ધમકીઓ આપી, જમીન, પ્લોટ, દાગીના સહિતની મિલકત હસ્તાંતર કરવા દબાણ કર્યું હતું. ફરિયાદી પાસેથી ૧૧ કોરા ચેક પર બળજબરીપૂર્વક સહીઓ કરાવી હતી. દોઢ તોલાનો સોનાનો બેરખો અને આશરે પોણા તોલાનો ચેઇન મળી કુલ આશરે દોઢ લાખ રૂપિયાના દાગીના પણ કબજે કરાયા હતા. ફરિયાદી અને તેમના જમાઈને કુલ ૧૭ દિવસ તથા સગીર રણજીતને ૧૨ દિવસ સુધી ગેરકાયદેસર રીતે બંધક બનાવી તા. ૨૭/૦૪/૨૦૨૫ સુધી ૭૦ લાખ રૂપિયા વસૂલવાનો પ્રયાસ કરાયો હતો. આ સમગ્ર પ્રકરણ સાથે સંકળાયેલો બીજો ગુનો પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. A-11218019250002/2025 હેઠળ તા. ૧૪/૦૫/૨૦૨૫ના રોજ નોંધાયો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું કે હિરલબા જાડેજા અને તેમના સાગરિતોએ પૂર્વ આયોજનથી કોટક મહિન્દ્રા બેંકના કર્મચારીઓને નિવાસસ્થાને બોલાવી પોતાના ઓળખીતા અને અજાણ્યા લોકોના પ્રલોભનથી બેંક ખાતા ખોલાવ્યા હતા. બાદમાં દેશના વિવિધ રાજ્યોમાં સાયબર ફ્રોડના ભોગ બનેલા લોકો પાસેથી છેતરપિંડીથી મેળવેલા નાણાં આ ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી ગેરરીતે ઉપાડી લેવામાં આવ્યા હતા. જયેશ ઢાંકેચા અને કમલેશ દાસાના ખાતાનો ખોટો ઉપયોગ કરીને સહી કરેલા ચેક મેળવી રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા, જ્યારે પાર્થ સોનગેલા, અજય ચૌહાણ અને મોહન વાજાના ખાતામાંથી તેઓએ જાતે જ નાણાં ટ્રાન્સફર કરી સગેવગે કર્યા હોવાનું બહાર આવ્યું છે. ગુનામાં સંડોવાયેલા પાર્થ સોનગેલા અને રાજુ પરમાર લાલશાહીથી ફરાર હતા. વિશ્વસનીય માહિતીના આધારે એલ.સી.બી.ની ટીમને ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે મોકલવામાં આવી હતી, જ્યાંથી બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 8:00 am

હળવદમાં કેનાલમાં ડૂબી જવાથી 40 વર્ષીય યુવાનનું મોત:મોરબીમાં અન્ય યુવાન લાપતા, ફાયર ટીમની શોધખોળ ચાલુ

હળવદ અને મોરબી જિલ્લામાં કેનાલમાં ડૂબી જવાની બે ઘટનાઓ સામે આવી છે. હળવદ નજીક નર્મદા કેનાલમાં 40 વર્ષીય યુવાનનું ડૂબી જવાથી મોત થયું છે, જ્યારે મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કેનાલમાં ડૂબી ગયેલા અન્ય એક યુવાનનો મોડી સાંજ સુધી પત્તો લાગ્યો નથી. હળવદ શહેરમાં વનવગડો હોટલ પાછળથી પસાર થતી નર્મદા કેનાલમાં કણબીપરાના રહેવાસી જયસુખભાઈ દિલાભાઈ પટેલ (ઉંમર 40) ન્હાવા ગયા હતા. કોઈ અગમ્ય કારણોસર તેઓ કેનાલમાં ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને થતા, ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે શોધખોળ હાથ ધરી હતી અને યુવાનના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો. મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હળવદ તાલુકા પોલીસે આ બનાવની નોંધ લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. તેવી જ રીતે, મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં એક રાજસ્થાની યુવાન ડૂબી ગયો હતો. આ બનાવની જાણ થતા ફાયર વિભાગની ટીમ ત્યાં પણ પહોંચી હતી અને યુવાનને શોધવાની કામગીરી શરૂ કરી હતી. જોકે, મોડી સાંજ સુધી ડૂબી ગયેલા યુવાનનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ફાયર વિભાગના અધિકારી જયેશ ડાકીએ જણાવ્યું હતું કે, આવતીકાલે સવારથી ફાયરની ટીમ દ્વારા ફરીથી શોધખોળની કામગીરી હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 7:58 am

માધવપુર ઘેડમાં ભગવાન માધવરાયજીના વિવાહનું આયોજન:ફુલડોલ ઉત્સવ અને લગ્નોત્સવની ધૂમ

માધવપુર ઘેડમાં ભગવાન માધવરાયજી અને રુકમણીજીના વિવાહનો ઉત્સવ શરૂ થઈ ગયો છે. માધવપુરનો માંડવો અને જાદવકુળની જાન, પરણે રાણી રુકમણી અને વર દુલ્હો ભગવાન પંક્તિઓ સાથે આ ભવ્ય લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રુકમણી મંદિરના મહંત શ્રી સુધીરભાઈ નિમાવતે આ વર્ષના કાર્યક્રમો વિશે માહિતી આપી હતી. આ પરંપરાગત ઉત્સવમાં, માધવરાયજીના મંદિરેથી ભગવાન ચોરી મંડપે પધારે છે, જ્યાં ફુલડોલ ઉત્સવ મનાવવામાં આવે છે. ત્યારબાદ ભગવાન રુકમણીજીના સાનિધ્યમાં બિરાજમાન થાય છે. જગતગુરુ રામાનુજાચાર્ય અને વલ્લભાચાર્યની સાક્ષીમાં વિધિવત રીતે ૨૫ વાનાના લગ્ન લખવામાં આવે છે. ચૈત્ર સુદ નોમથી મેળાનો વિધિવત પ્રારંભ થાય છે અને મંદિર પર ધજા ચડાવવામાં આવે છે, જે ઉત્સવના પ્રારંભનું સૂચન કરે છે. નોમ, દશમ અને અગિયારસ એમ ત્રણ દિવસ સુધી ભગવાનના ભવ્ય ભુલેકા કાઢવામાં આવે છે. બારસના દિવસે ગોધુલી સમયે ભગવાનની જાન મધુવનમાં પ્રવેશ કરે છે, જે લગ્ન સમારોહનો એક મહત્વપૂર્ણ ભાગ છે. લગ્ન વિધિ દરમિયાન, મંત્રોચ્ચાર સાથે મંડપમાં કન્યા પધરાવો સાવધાનના નાદ સાથે રુકમણીજીને પાલખીમાં બિરાજમાન કરી મંડપમાં લાવવામાં આવે છે. અહીં ભગવાન માધવરાયજી અને રુકમણીજી શાસ્ત્રોક્ત વિધિ મુજબ સપ્તપદીના સાત ફેરા ફરે છે. આ ભવ્ય લગ્નોત્સવમાં ભાગ લેવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર માધવપુર હાલ ભક્તિમય માહોલમાં ગરકાવ થયેલું છે, જ્યાં પરંપરા અને શ્રદ્ધાનો સંગમ જોવા મળે છે.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 7:56 am

ઈરાન યુદ્ધ અંગે ટ્રમ્પે ખુદને 10માંથી 15 રેટિંગ આપ્યું, કહ્યું - અમેરિકા મજબૂત સ્થિતિમાં...

Donald Trump on Iran War : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકન સેનાના પ્રદર્શનની જોરદાર પ્રશંસા કરી છે. તેમણે દાવો કર્યો છે કે યુદ્ધના છઠ્ઠા દિવસે અમેરિકા અત્યંત મજબૂત સ્થિતિમાં છે અને ઈરાની નેતૃત્વ તેમજ તેમની મિસાઈલ ક્ષમતા ઝડપથી નબળી પડી રહી છે. ટ્રમ્પનું રેટિંગ અને સેનાની પ્રશંસા વ્હાઈટ હાઉસમાં ટેકનોલોજી કંપનીઓના વડાઓ સાથેની વાતચીત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમે યુદ્ધના મોરચે ખૂબ જ સારું કરી રહ્યા છીએ. જ્યારે મને કોઈએ પૂછ્યું કે તમે 10 માંથી આ સ્થિતિને કેટલું રેટિંગ આપશો, તો મેં કહ્યું - 15.

ગુજરાત સમાચાર 5 Mar 2026 7:47 am

'દેવદાસ' ફેમ વિજય કૃષ્ણાનું 81 વર્ષની વયે નિધન, શાહરૂખ ખાનના ઓનસ્ક્રીન પિતાની ભજવી હતી ભૂમિકા

Devdas Actor Vijay Krishna Passes Away : બોલિવૂડના પીઢ અભિનેતા અને સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'દેવદાસ'માં શાહરૂખ ખાનના પિતાની ભૂમિકા ભજવનાર વિજય કૃષ્ણાનું 81 વર્ષની વયે નિધન થયું છે. આ દુઃખદ સમાચારથી ફિલ્મ જગત અને થિયેટર કલાકારોમાં શોકની લહેર છવાઈ ગઈ છે.

ગુજરાત સમાચાર 5 Mar 2026 7:37 am

પર્લ હાર્બર:ઇતિહાસ બદલવા માટે એક ક્ષણ લાગે છે, જીવન બદલવા માટે પ્રેમની જરૂર પડે છે

કહે છે કે ઇતિહાસનું સૌથી પહેલું દસ્તાવેજીકૃત યુદ્ધ મિસ્રના (આજનું ઇજિપ્ત) ફેરો થુટમોસ 3 એ કાનાન વિસ્તારમાં બળવો કરનારા રાજ્યો સામે લડ્યું હતું. ઇ.સ.પૂર્વે 1457 માં લડાયેલા આ યુદ્ધની વિગતવાર નોંધ પ્રાચીન મંદિરની દિવાલો પર લખાઇ હતી. જેના કારણે તેને ઇતિહાસનું સૌથી પહેલું દસ્તાવેજીકૃત યુદ્ધ માનવામાં આવે છે. બેટલ ઓફ મેગિડો તરીકે ઓળખાતા આ યુદ્ધ વિશે વક્રોક્તિ એ છે કે ત્યારનો કાનાન વિસ્તાર એ આજનું ઇઝરાયેલ-પેલેસ્ટાઇન છે! અને આ લખાઇ રહ્યું છે ત્યારે પણ સદીઓ જૂના ઇઝરાયેલ-પેલેસ્ટાઇન સંઘર્ષની વચ્ચે ઇરાનના સુપ્રીમ લીડર અલી ખામેની અમેરિકા-ઇઝરાયલે કરેલા મિસાઇલ હુમલામાં માર્યા ગયા છે. આજે તેમના મૃત્યુ સાથે ઇરાન અને મિડલ ઇસ્ટમાં મોટી રાજકીય સ્થિતિ બદલાશે અને તેની અસર વિશ્વ સ્તરે પડશે. ફરી સિલસિલો શરુ થશે તાજેતરમાં અને ભવિષ્યમાં થનાર યુદ્ધો અને વિનાશનો! આપણે ઇતિહાસ પાસેથી કંઇ શીખતા નથીબેટલ ઓફ મેગિડો, પાણીપતનું યુદ્ધ, અમેરિકન સિવિલ વૉર, શીત યુદ્ધ અને પ્રથમ, દ્વિતીય વિશ્વયુદ્ધ જેવા ઇતિહાસના જાણીતા યુદ્ધો અને એમાં થયેલા સંહાર એ વાતની સાબિતી છે કે આપણે ઇતિહાસ પાસેથી ખરેખર કંઇ શીખતાં નથી હોતાં. હોલિવૂડ ફિલ્મ પર્લ હાર્બરે અનોખી છાપ છોડીઅને કરુણતા એ વાતની છે કે ટેક્નોલોજીના આ યુગમાં મનુષ્ય ટીવીના પડદા દ્વારા વિશ્વના કોઇપણ ખૂણે ચાલતું યુદ્ધ નજર સામે જોઇ શકે છે. ઉપરાંત ડોક્યુમેન્ટરી કે વોર ફિલ્મ્સ થકી પણ યુદ્ધની ભયાનકતા, વિનાશ, કરૂણતા કે વિવશતા જોઇ શકાય છે અને કેટલીક ફિલ્મો યુદ્ધમાં થનાર સંહાર જ નહીં પણ તેની પૃષ્ઠભૂમિ પર રચાતી, હિંમત, બલિદાન, મિત્રતા, માનવતા અને પ્રેમ જેવી ભાવનાઓને પણ રજૂ કરે છે. ડૉ. કોટનિસ કી અમર કહાની, બોર્ડર જેવી હિન્દી યુદ્ધ ફિલ્મો અને સેવિંગ પ્રાઇવેટ રયાન, હેકસો રીજ, ડન્કિર્ક, શિન્ડલર્સ લિસ્ટ જેવી હોલિવૂડ ફિલ્મો આ બધા ભાવોને આબાદ રજૂ કરે છે. એમાંય સાચા યુદ્ધ સાથે જોડાયેલી કાલ્પનિક પ્રેમકથાની 2001 માં આવેલી ફિલ્મ પર્લ હાર્બર એક અનોખી અમીટ છાપ છોડી જાય છે. પર્લ હાર્બર એક હોલિવૂડ ફિલ્મ છે. જે 7 ડિસેમ્બર, 1941ના રોજ અમેરિકાના હવાઈ ટાપુ સ્થિત અમેરિકન નૌકાદળના મથક પર થયેલા જાપાની હુમલા પર આધારિત છે. આ હુમલો અમેરિકાના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ક્ષણ હતી. જેના કારણે અમેરિકા બીજા વિશ્વયુદ્ધમાં સક્રિય રીતે જોડાયું. બાળપણથી પાયલટ બનવાનું સપનુંમાઇકલ બે દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ બે બાળમિત્રો રેફ મેકૉલે (Ben Affleck) અને ડેની વોકર (Josh Hartnett) ની આસપાસ ફરે છે. બંને અમેરિકન વાયુસેનામાં પાઇલટ બને છે. તેઓ બાળપણથી જ પાયલટ બનવાનું સ્વપ્ન જુએ છે. એ સમયે 140 મિલિયન ડોલરમાં ફિલ્મ બની હતીરેફ, એક નર્સ એવેલિન (Kate Beckinsale) સાથે પ્રેમમાં પડે છે. યુદ્ધ દરમિયાન પરિસ્થિતિઓ બદલાય છે અને રેફ બ્રિટનમાં લડવા જાય છે. એક દુર્ઘટના બાદ તેને મૃત માનવામાં આવે છે. આ દરમિયાન ડેની અને એવેલિન નજીક આવે છે પછી રેફ જીવિત પરત આવે છે અને તેમની વચ્ચે ભાવનાત્મક તણાવ ઊભો થાય છે. દરમિયાનમાં આ પ્રેમકથા વચ્ચે જ જાપાન પર્લ હાર્બર પર ભયાનક હુમલો કરે છે અને ત્યાર પછી જે ઘટનાઓ ઘટે છે એની કલ્પના અને વાસ્તવિકતાના મિશ્રણ જેવી કહાની એટલે એ વખતે 140 મિલિયન ડોલરમાં બનેલી મોંઘી ફિલ્મ પર્લ હાર્બર. પર્લ હાર્બરને સિનેમા રસિયાઓ અને વિવેચકો આજે પણ વિશ્વ ઇતિહાસની એક અતિ મહત્વપૂર્ણ ઘટનાને રોમાંચક અને ભાવનાત્મક રીતે પડદા પર આબાદ ઝીલનાર ફિલ્મ તરીકે યાદ કરે છે. ફરીથી માનવ જાત યુદ્ધના ઉંબરે આવીને ઊભી રહી ગઇપર્લ હાર્બર જેવું યુદ્ધ જેના પછી જાપાન-અમેરિકાના સંબંધો, અમેરિકાએ ત્યાર પછી જાપાનના હિરોશિમા અને નાગાસાકી શહેરો પર કરેલો વિશ્વનો સૌપ્રથમ પરમાણુ હુમલો અને આ બધા પછી ભયાનક વિનાશ પછી ફિનિક્સ પક્ષીની જેમ પાછું ઊભું થયેલું જાપાન અને આગળ ઉલ્લેખ કર્યો એ વિશ્વના જાણીતાં અજાણ્યા યુદ્ધો પછી પણ માનવજાત ફરી ફરીને અત્યારે વિશ્વમાં ચાલતા રશિયા-યુક્રેન, ઇઝરાયેલ-ઇરાન અને નાના મોટા આંતરિક યુદ્ધોના ઉંબરે એક કે બીજા કારણોસર આવીને ઉભી છે! કેટલાક યુદ્ધો અને દેશો વચ્ચેના સંઘર્ષો સદીઓથી ચાલે છે અને કરુણતા એ વાતની છે કે પૂર્વજો એ કોઇક કારણોસર શરુ કરેલા આ સંઘર્ષની કિંમત આ અસલી કારણોથી અજાણી એવી આજની પેઢી એમના લોહીથી ચૂકવી રહી છે. જ્યારે જ્યારે એમ લાગે કે માનવજાત શાંતિ અને સૌહાર્દ તરફ બે ડગલાં આગળ વધી છે ત્યાં રાજકારણ, ધર્મ, ટેક્નોલોજી, વિસ્તારવાદી નીતિ, તેલ, ખનીજની રાજનીતિ દુનિયાના શાંતિના શમણાંને ચાર ડગલાં પાછળ ધકેલે છે. કોઇપણ સમસ્યાનો ઉકેલ યુદ્ધ નથીઇતિહાસ સાક્ષી રહ્યો છે કે બે મનુષ્ય વચ્ચે, જાતિઓ વચ્ચે કે દેશો વચ્ચેના પ્રશ્નોનું નિરાકરણ વાટાઘાટથી આવે કે ના આવે પણ યુદ્ધથી તો કોઇ દિવસ નથી આવ્યું. કેલ્વિન અને હોબ્સ જેવી અતિ લોકપ્રિય કાર્ટૂન સિરીઝમાં બિલ વોટરસન એક અત્યંત મજબૂત સવાલ એના પાત્ર દ્વારા કરે છે જે મગજ અને દિલને હચમચાવી નાખે છે: પપ્પા, એકબીજાને મારી નાખતા સૈનિકો દુનિયાની સમસ્યાઓ કેવી રીતે હલ કરે છે? વિશ્વશાંતિનું શમણું જોનાર દરેક દેશ અને મનુષ્યએ ઉપરનો સવાલ યાદ રાખવો જોઇએ એ સમય હવે નહીં આવે તો સવાલ અને જવાબો કરનાર કોઇ આ પૃથ્વી પર નહીં જ બચે!

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 6:36 am

અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે મેગા ટ્રાફિક રિલીફ પ્લાન:18 ઓવરબ્રિજ-અંડરપાસ અને 5 એલિવેટેડ કોરિડોર બનશે, ફિઝીબિલિટી સર્વે અને ડિઝાઇન તૈયાર

આગામી વર્ષ 2030માં અમદાવાદમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સના ભાગરૂપે શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે જુદા-જુદા જંકશન પર ઓવર બ્રિજ અને અંડરપાસ બનાવવા, મલ્ટી જંકશન પર ડબલ હાઈટ થ્રુ એલિવેટેડ કોરીડોર જેવા ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપ કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી ચાર વર્ષમાં 18થી વધુ ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવા માટે ફિઝિબિલિટી સર્વે અને ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. શહેરના 35 જેટલા જંકશન પર સર્વે કરવામાં આવ્યો છે. કોમનવેલ્થ સુધીમાં શહેરમાં નવા ઓવર બ્રિજ અને અંડરપાસ બનવાથી ટ્રાફિકની સમસ્યા દૂર થશે. જુદા-જુદા ટ્રાફિક જંકશન પર હયાત ટ્રાફિકનો સર્વે શહેરની વધતાં જતાં વાહનોની સંખ્યાની સાથે ટ્રાફિકની સમસ્યા પણ વધી રહી છે. જેથી, ટ્રાફિકની સમસ્યા હળવી કરવા શહેરનાં મુખ્ય રસ્તાઓ પરના જુદા-જુદા ટ્રાફિક જંકશન પર હયાત ટ્રાફિકનો સર્વે કરી તેના ફાઇનલ રિપોર્ટ મુજબ સૂચવવામાં આવેલ એલાઈમેન્ટમાં ફલાયઓવર બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા શહેરમાં આવેલ જુદા-જુદા 35 જંકશનો પર મેડ સેપરેટર, ફ્લાયઓવર, એલીવેટેડ કોરીડોર અથવા અંડરપાસ બનાવવા બ્રિજની જરૂરીયાત અંગે ફિઝિબિલીટી ચકાસણી માટે જરૂરી ટ્રાફિક સર્વે કરવા માટે સેન્ટ્રલ રોડ રીસર્ચ ઈન્સટીટયુટ (CRRI)ની નિમણૂંક કરી ટ્રાફિક સર્વે કરાવવામાં આવ્યો છે. ભવિષ્યના ટ્રાફિક ગ્રોથને ધ્યાને રાખી GPR સર્વે કરવામાં આવશેશહેરમાં 25 જેટલા જંક્શનો પર સર્વે થઈ ચૂક્યો છે. જેમાં સેન્ટ્રલ રોડ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CRRI) દ્વારા પ્રર્વતમાન ટ્રાફિક PCU તથા ભવિષ્યના ટ્રાફિક ગ્રોથ મુજબ બ્રિજ બનાવવા અંગે પ્રાયોરીટી નકકી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં આગામી વર્ષ 2030માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સના આયોજનના ભાગરૂપે સરળ પરિવહન માટે ઈન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવાનું હોવાથી બ્રિજની ડિઝાઇન કરવામાં આવી રહી છે. ઝડપથી બ્રિજ બને તેના માટે બ્રિજ બનાવવાની કામગીરી પહેલા અન્ડરગ્રાઉન્ડ યુટીલિટી સર્વે કરી તેને પ્રોપર લોકેટ કરી જો શક્ય હોય તો નાની લાઇન શીફટીંગ કરાવા અન્યથા મેઝર લાઈનો શિફટ ન થઈ શકે તેમ હોય તો તે મુજબ બ્રિજના ફાઉન્ડેશનની ડિઝાઈન તૈયાર કરાવી કામગીરી માટે અને બ્રિજની કામગીરી શરૂ કર્યા બાદ અન્ડરગ્રાઉન્ડ યુટીલિટીના કારણે વિલંબ થાય ન થાય તેના માટે ગ્રાઉન્ડ પેનીટ્રેશન રીપોર્ટ (GPR) સર્વે કરવામાં આવશે. 18 જંકશન પર હાલમાં ડિઝાઇનની કામગીરી શરુ ભવિષ્યમાં તૈયાર કરવાના થતા બ્રિજો માટે ગ્રાઉન્ડ પેનિટ્રેશન રીપોર્ટ (GPR) સર્વેની કામગીરી માટે 16 અને 19 પ્રતિ ચોરસ મીટર સર્વે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચૂકવવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 18 જેટલા જંકશનનો પર હાલમાં ફિઝીબિલિટી સર્વે અને ડિઝાઇન તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે, જેમાં આ GPR સર્વે પણ થશે. 5 એલિવેટેડ કોરિડોર તૈયાર કરાશે18માંથી પાંચ જેટલા મલ્ટી લેવલ ડબલ હાઈટેડ એલીવેટેડ કોરિડોર બનાવવામાં આવશે, જેમાં ઓઢવ ફાયર સ્ટેશનથી લઈને ઈન્દોર હાઈ-વે સુધી, બોપલ વકીલ સાહેબ બ્રિજથી ઘુમા, કાલુપુર જંકશનથી પ્રેમ દરવાજા થઈ દરિયાપુર દરવાજાથી દિલ્હી દરવાજા જંકશન થઈને શાહપુર મેટ્રો સ્ટેશન સુધી, નમસ્તે સર્કલથી દરિયાપુર દરવાજા તરફ, નહેરુનગરથી શિવરંજની થઈ ઇસ્કોન સુધી અને સરખેજ ક્રોસિંગથી સાણંદ ચોકડી સુધી એમ પાંચ જગ્યાએ એલિવેટેડ કોરિડોર અને હયાત બ્રિજ ઉપરના ડબલ હાઈટેડ એલીવેટેડ કોરિડોર બનશે.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 6:00 am

બોર્ડ પરીક્ષાના સ્કોરિંગ સબ્જેક્ટમાં સેન્ચુરી કેવી રીતે ફટકારશો?:એક-એક એક્સ્ટ્રા જવાબ લખો એટલે 12 સાયન્સના ગણિતની ગેમ ઓવર, આમ કરો અંતિમ કલાકોમાં તૈયારી

હાલ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ ચાલી રહી છે. હવે આગામી 6 માર્ચે ધો.10માં અને 9 માર્ચે 12 સાયન્સમાં મેથ્સનું પેપર લેવાશે. જ્યારે 9 માર્ચે કોમર્સમાં આંકડાશાસ્ત્રની પરીક્ષા છે.આ બોર્ડ પરીક્ષાને લઈ દિવ્ય ભાસ્કર મેઇન પેપરમાં છેલ્લા કલાકોમાં કેવી રીતે તૈયારીઓ કરવી તેની એક્સપર્ટ્સ ટિપ્સ જણાવી રહ્યા છીએ. 9 માર્ચે ધોરણ 12 સાયન્સનું ગણિતનું પેપર લેવાશે. ગ્રીપ ધરાવતા વિદ્યાર્થીઓ માટે મેથ્સ સ્કોરિંગ સબ્જેક્ટ છે અને ગણિતથી ડરેલા વિદ્યાર્થી માટે માથાનો દુખાવો છે. 100માંથી 100 માર્ક્સ લેવા માટે સૌ પ્રથમ MCQ અને બાદમાં સેક્શન C, B અને છેલ્લે A સેક્શન લખવા જરૂરી છે. જેથી પહેલા 4, પછી 3 અને છેલ્લે 2- 2 માર્કના દાખલા ગણવા. જેથી સમયસર પેપર પૂર્ણ થઈ જાય. 'વિચારવાનો સમય જોઈએ છે તે પ્રશ્નો છોડી દેવા'રાજકોટની વી.જે. મોદી સ્કૂલના સાયન્સ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપાલ ઉર્વીબેન ભટ્ટે જણાવ્યું હતું કે, ધોરણ 11 અને 12 સાયન્સમાં છેલ્લા 20 વર્ષથી મેથેમેટિક્સ ભણાવુ છું. 9 માર્ચે મેથ્સનું પેપર છે ત્યારે વિદ્યાર્થીઓને પ્રથમ એક કલાક MCQ લખવાના હોય છે. નેગેટીવ માર્કિંગ ન હોવાથી તમામ પ્રશ્નો લખવાના રહેશે. સૌપ્રથમ જે પ્રશ્નો આવડે છે તે લખી નાખો અને જેમાં વિચારવાનો સમય જોઈએ છે તે પ્રશ્નો છોડી દેવા જોઈએ. આ રીતે 50 MCQ પૂર્ણ થયા બાદ જે MCQ છોડી દીધા છે તે વાંચો અને રિકોલ કરી તેના જવાબો લખવાનો પ્રયત્ન કરો. 'આટલું કર્યું હશે તે વિદ્યાર્થીઓને કોઈ જ સમસ્યા નહીં આવે'આ ઉપરાંત 50 માર્કની થિયરીમાં સેક્શન Cથી શરૂઆત કરો કારણ કે મોટાભાગે મેથેમેટિક્સનું પેપર ટેક્સ્ટ બુક આધારિત હોય છે. જે વિદ્યાર્થીઓએ તમામ દાખલાઓ અને ઉદાહરણો લખી લખીને તૈયાર કર્યા હશે તેઓને કોઈ જ સમસ્યા નહીં આવે. વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખે કે કોઈપણ દાખલો હોય તેમાં ડેટા અને સૂત્રો ખાસ લખવા જરૂરી છે. આ ઉપરાંત આકૃતિ અને નામ નિર્દેશ હાઈલાઇટ થાય તે રીતે દોરવા. જેનાથી એક્ઝામિનરનું તુરંત ત્યાં ધ્યાન જાય. 'દરેક સેક્શનમાં એક-એક એક્સ્ટ્રા સવાલનો જવાબ લખો'આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને એક સજેશન છે કે દરેક સેક્શનમાં એક-એક એક્સ્ટ્રા સવાલનો જવાબ લખવામાં આવે. જેનાથી તે વિદ્યાર્થીની પૂરેપૂરા માર્કસ મેળવવાની શક્યતાઓ વધી જાય છે. મેથ્સનું પેપર ઇઝી ટુ મોડરેટ નીકળે છે. ગણિતનું પેપર એટલું અઘરું કોઈ દિવસ નથી નીકળતું કે વિદ્યાર્થીઓનું મોરલ ડાઉન થઈ જાય. 'આંકડાશાસ્ત્રમાં ટેક્સ્ટ બુક કરો એટલે પૂરા માર્ક્સ'જ્યારે 9 માર્ચે લેવાનારા આંકડાશાસ્ત્રના પેપરની ટિપ્સ આપતા નિષ્ણાત પિયુષ શાહે જણવ્યું હતું કે સેક્શન Fથી શરૂઆત કરવાની અને બાદમાં વિભાગ એ કે જેમાં વૈકલ્પિક પ્રશ્નો આવે છે. આ દરેક પ્રશ્નો પાઠ્યપુસ્તક પ્રમાણે હોય છે, જે પાઠ્યપુસ્તકમાંથી કરી લેવા જોઈએ. જેથી આપ પૂરા માર્ક્સ મેળવી શકો છો. 'જે નથી આવડતું તેની જગ્યા છોડી દો'વધુમાં કહ્યું કે, જ્યારે તમે પેપર લખતા હોય ત્યારે ઘણા વિદ્યાર્થીઓ બે વિભાગ એકમાં લખતા હોય છે. જે યોગ્ય બાબત નથી. પરીક્ષામાં વિભાગ અનુસાર લખવું જોઈએ, જે પ્રશ્નો નથી આવડતા તે પ્રશ્નોની જગ્યા છોડી દેવા જોઈએ અને અંતિમ સમયમાં સમય મળે ત્યારે તેનો વિચાર કરવો જોઈએ. 'ધો.10ના મેથ્સમાં ખાલી આંકડા જ ફરશે બાકી બધું એ જ રહેશે'ધોરણ 10ના મેથ્સના પેપરને લઈ એચ.બી. કાપડિયા હાઈસ્કૂલના ગણિતના શિક્ષક ચેતન પટેલે વિદ્યાર્થીઓને સરળ અને અસરકારક માર્ગદર્શન આપ્યું છે. તેમણે કહ્યું કે બોર્ડની પરીક્ષા કોઈ અલગ કે કોઈ વધારે મુશ્કેલ પરીક્ષા નથી, પરંતુ અન્ય પરીક્ષાની જેમ જ એક સામાન્ય પ્રક્રિયા છે. વિદ્યાર્થીઓએ ડરવાની જરૂર નથી, પરંતુ આત્મવિશ્વાસ સાથે તૈયારી કરવી જોઈએ. ચેતન પટેલે જણાવ્યું કે ગણિતનું પ્રશ્નપત્ર હંમેશા પાઠ્યપુસ્તક આધારિત હોય છે. પ્રશ્નોમાં આંકડાનો થોડો ફેરફાર થઈ શકે છે જેમ કે 12 x 15ની જગ્યાએ 18 x 27 પૂછાઈ શકે પરંતુ ઉકેલવાની પદ્ધતિ એ જ રહે છે. એટલે જો વિદ્યાર્થીઓએ પાઠ્યપુસ્તકના દાખલા સારી રીતે સમજી લીધા હોય તો તેઓ કોઈપણ ફેરફાર સાથેના પ્રશ્નો સરળતાથી ઉકેલી શકે છે. 'સૂત્રો કરી લીધા એટલે 50 ટકા તૈયારી પૂર્ણ'તેમણે ખાસ ભાર મૂક્યો કે સૂત્રોનું મહત્વ અત્યંત અગત્યનું છે. જો વિદ્યાર્થીએ બધા સૂત્રો પાકા કરી લીધા હોય તો 50 ટકા ગણિતની તૈયારી પૂર્ણ થઈ ગઈ ગણાય. સૂત્રો યાદ હશે તો દાખલાઓ ગણી કાઢવામાં સમય પણ ઓછો લાગશે અને ભૂલો પણ ઓછી થશે. જ્યારે ચેપ્ટર 5, ચેપ્ટર 13 અને ચેપ્ટર 14માંથી કુલ 35 થી 40 માર્ક્સ સુધીના પ્રશ્નો પૂછાતા હોય છે. એટલે કે આ ત્રણ મુખ્ય પ્રકરણો તૈયાર કરવાથી અડધી ચોપડી તૈયાર થઈ જાય છે. યોગ્ય આયોજન સાથે તૈયારી કરવામાં આવે તો ઓછા સમયમાં વધુ પરિણામ મેળવી શકાય છે. નવી ‘જનરલ ઓપ્શન’ યોજનામાં થશે ખૂબ ફાયદોનવી ‘જનરલ ઓપ્શન’ યોજના અંગે તેમણે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા હવે 13 પ્રશ્નોમાંથી કોઈપણ 9 પ્રશ્નો અને 8 પ્રશ્નોમાંથી કોઈપણ 5 પ્રશ્નો પસંદ કરવાની તક આપવામાં આવી છે. એટલે વિદ્યાર્થી અઘરા પ્રશ્નોને છોડીને સરળ પ્રશ્નો પસંદ કરી શકે છે અને પૂરા માર્ક્સ મેળવી શકે છે. સેક્શન A પર ખાસ ભાર આપોતેમણે એક મહત્વની બાબત પર ખાસ ધ્યાન દોર્યું કે સેક્શન Aમાં કોઈ વિકલ્પ નથી. અહીં 24માંથી 24 પ્રશ્નો અટેમ્પ્ટ કરવા જરૂરી છે. જો વિદ્યાર્થી આ 24 પ્રશ્નો સારી રીતે તૈયાર કરી લે તો 24 માર્ક્સ રોકડા મેળવી શકે છે. તેથી સેક્શન A પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. તેમણે ટાઇમ મેનેજમેન્ટ અંગે કહ્યું કે, પ્રશ્નપત્રમાં એ, બી, સી અને ડી એમ ચાર વિભાગ હોય છે. વિદ્યાર્થીઓએ કોઈ પણ વિભાગથી શરૂઆત કરી શકે છે. જે વિભાગમાં વધુ આત્મવિશ્વાસ હોય તે વિભાગ પહેલા અટેમ્પ્t કરવાથી આત્મવિશ્વાસ વધે છે અને પેપર સરળ લાગે છે. અમારી સ્કૂલમાં ઘણા વિદ્યાર્થીઓએ 100 માંથી 100 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે, જેમાં 80 માર્ક્સ બોર્ડ પરીક્ષાના અને 20 માર્ક્સ ઇન્ટર્નલના હોય છે. છેલ્લે તેમણે વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો કે નિયમિત અભ્યાસ, સૂત્રોની મજબૂત તૈયારી, મહત્વના પ્રકરણો પર ધ્યાન અને સ્વચ્છ પ્રેઝન્ટેશન આ ચાર બાબતો અપનાવી લેવામાં આવે તો ગણિત વિષયમાં સારું પરિણામ મેળવવું મુશ્કેલ નથી.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 6:00 am

મંત્રી પર ‘રિંગણમારો’, બુરા ના માનો હોલી હૈ:ઋષિકેશ પટેલે ફટાફટ કાચ બંધ કર્યો, મોઢા પર રિંગણ વાગતા રહી ગયું; ગોપાલ ઈટાલિયાએ ભાંગડા કર્યાં, જુઓ VIDEO

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 6:00 am

દુબઇમાં ખિસ્સાં ખાલી થયા ને ફ્લાઇટ્સ પણ બંધ થઇ:ગુજરાતીઓ માટે દેવદૂત બન્યો વૈષ્ણવ સંઘ UAE, પીક અપ-ડ્રોપથી લઇને રહેવા જમવાની સુવિધા આપી

જ્યારે અજાણ્યા દેશમાં મુશ્કેલી આવે અને ઘરે પાછા આવવાના તમામ રસ્તા બંધ થઇ જાય ત્યારે એક નાનકડી મદદ પણ મહત્વની સાબિત થતી હોય છે. મિડલ ઇસ્ટમાં યુદ્ધ ફાટી નીકળતા દુબઇમાં ફ્લાઇટ્સ રદ થવાથી ઘણા ભારતીય પરિવારો અટવાયા છે. હોટલના બિલ અને ચિંતાએ તેમને માનસિક રીતે તોડી નાખ્યા ત્યારે વૈષ્ણવ સંઘ UAEની ટીમ તેમની મદદે આવી છે. દ્વારકેશ લાલજીની પ્રેરણાથી નિખિલ સાયાણી અને તેમની ટીમે હજારો કિલોમીટર દૂર પરદેશમાં માનવતાનો દીવો પ્રગટાવ્યો છે. જેની હૂંફ અહીં ભારતમાં બેઠેલા પરિવારો સુધી પહોંચી રહી છે. વૈષ્ણવ સંઘ UAEએ દુબઇમાં ફસાયેલા પ્રવાસીઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરી હતી સાથે જ સવારના યોગથી લઇને રાતની અંતાક્ષરી અને ફિલ્મો સુધી વૈષ્ણવ સંઘે એક એવું વાતાવરણ ઊભું કર્યું કે ડરેલા ચહેરાઓ પર ફરી સ્મિત આવ્યું છે. આવી યુદ્ધની પરિસ્થિતી વચ્ચે પણ એક પરિવાર બનીને લોકોને મદદ કરવાનું આ કામ કેવી રીતે શક્ય બન્યું એ જાણવા માટે દિવ્ય ભાસ્કરે વૈષ્ણવ સંઘ UAE ના નિખિલ સાયાણી સાથે વાતચીત કરી હતી. તેઓ મૂળ અમદાવાદના વતની છે અને છેલ્લા 20 વર્ષથી દુબઇમાં રહે છે. તેમણે 3 કિસ્સા કહ્યાં. કિસ્સો 1નૈરોબીમાં રહેતી ગુજરાતી મહિલા UKમાં વસતા તેમના પરિવારના સભ્યો સાથે ફરવા માટે દુબઇ આવી હતી પણ ફ્લાઇટ બંધ થતાં બધા ફસાઇ ગયા હતા. દરમિયાન UKના પરિવારજનોની ફ્લાઇટ બૂક થઇ જતાં તેઓ જતાં રહ્યાં હતા અને નૈરોબીથી આવેલી મહિલા દુબઇમાં એકલી રહી ગઇ હતી. આ મહિલાને હોટલમાંથી પણ ચેકઆઉટ કરવું પડ્યું હતું. જેથી તે ખૂબ ટેન્શનમાં હતી. મહિલાએ જ્યારે વૈષ્ણવ સંઘ UAEની ટીમનો સંપર્ક કર્યો ત્યારે ટીમે તેમને કહ્યું કે તમારે કોઇ ચિંતા કરવાની જરૂર નથી. અમે તમારી મદદ કરીશું અને જ્યારે પણ તમારી ફ્લાઇટ બૂક થશે ત્યારે તમને ડ્રોપ પણ કરી દઇશું. જેના પછી મહિલાનો ડર દૂર થયો અને તેના ચહેરા પર ખુશી જોવા મળી. કિસ્સો 2મુંબઇમાં રહેતા એક ગુજરાતી પરિવારના દીકરાને દુબઇમાં જોબ મળી હતી એટલે તેના માતાપિતા તેને દુબઇ મુકવા આવ્યાં હતા. યુદ્ધ બાદ દુબઇની પરિસ્થિતિ જોઇ તેઓ ખૂબ જ ગભરાઇ ગયા હતા. આ પરિવાર વિશે જ્યારે નિખિલ સાયાણી અને તેમની ટીમને જાણ થઇ ત્યારે ટીમે પરિવારની મુલાકાત લીધી હતી અને તેના માતાપિતાને સમજાવ્યું કે તમે કોઇપણ પ્રકારની ચિંતા ન કરશો. અમે જે પણ મદદની જરૂર હશે તે પૂરી પાડીશું. આના પછી નિખિલ સાયાણીએ પોતાની કારમાં એ દીકરાને તેની જોબના સ્થળે પહોંચાડ્યો હતો. તેના માતા પિતાને ભારત આવવાની ફ્લાઇટ હતી એટલે વૈષ્ણવ સંઘ UAEની ટીમે તેમને ભરોસો અપાવ્યો કે અમે અહીંયા છીએ. તમે કોઇપણ ટેન્શન રાખ્યા વગર ભારત જાઓ. કિસ્સો 3નિખિલ સાયાણીએ જણાવ્યું કે, મંગળવારે સાંજના સમયે અમે લોકોએ અમારી જોબ પતાવીને આપણાં ગુજરાતીઓ અને ભારતીયો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન અમે તેમની સાથે વાતચીત કરી હતી. જેમાં એક પરિવાર લોસ એન્જલસથી ભારત અને ભારતથી પાછો લોસ એન્જલસ જતો હતો. પરિવારે વૈષ્ણવ સંઘ UAEની ટીમને કહ્યું કે અમે આવી પરિસ્થિતિમાં ખૂબ માનસિક દબાણ અનુભવતા હતા પણ તમે એટલી સારી રીતે કાળજી રાખી છે કે અમને અહીં અમારા ઘર જેવું જ લાગ્યું. જે ટેન્શન હતું તે પણ હવે દૂર થઇ ગયું છે. વાંચો, દુબઇમાં ફસાયેલા ગુજરાતીઓની મદદે આવી જૈન સંસ્થા 1 માર્ચથી મદદની શરૂઆત કરી દીધીવૈષ્ણવ સંઘ UAEના 10 લોકોએ ફસાયેલા પ્રવાસીઓની મદદ કરવાનું નક્કી કર્યું હતું અને 1 માર્ચથી જ મદદની શરૂઆત કરી દીધી હતી. તેમણે સાંજે સોશિયલ મીડિયામાં એક પોસ્ટર અપલોડ કર્યું હતું. જેના પછી વહેલી સવારથી જ કોલ આવવાના શરૂ થઇ ગયા હતા. તેમને સૌથી પહેલો કોલ ગુજરાતી ટુરિસ્ટનો આવ્યો હતો. સોશિયલ મીડિયા પોસ્ટ જોઇને એક ગ્રુપે મદદ માગીઆના વિશે નિખિલ સાયાણી કહે છે કે, 50 લોકોનું ગ્રુપ તેમના ટૂર મેનેજર સાથે અહીં ફરવા આવ્યું હતું. અમારી આ પોસ્ટ જોઇને તેમણે કોલ કર્યો હતો. એ સમયે તેઓ ખૂબ જ ગભરાયેલી હાલતમાં હતા પણ અમે તેમને સાંત્વના આપી અને કહ્યું તમે જરા પણ ચિંતા ન કરશો, અમે તમારી સાથે છીએ. એ પછી અમે તેમના લોકેશન પર પહોંચ્યાં અને તેમની હોટલ પરથી સ્પેશિયલ બસ કરીને અમારા શારજહાંના લોકેશન પર તેમને પહોંચાડ્યાં હતા. શરૂઆતના તબક્કે તેમણે ફક્ત 300 લોકો માટે વ્યવસ્થા કરી હતી. જેમાં સૂવા માટે, ખાવા-પીવા માટેની સુવિધા હતી. જો કે હવે 600 લોકો માટેની સુવિધા છે. 600 લોકો રહી શકે તેવી વ્યવસ્થાનિખિલ જણાવે છે કે, ધીરે ધીરે સંખ્યા વધવા લાગી એટલે અમારી પાસે જે ખુલ્લી જગ્યા હતી ત્યાં બહાર મોટા ટેન્ટ તાત્કાલિક ઊભા કરાવડાવ્યાં અને ત્યાં પણ બિસ્તરથી લઈને કુલર અને ફેનની પણ વ્યવસ્થા કરી. જેથી લોકો સારી રીતે રહી શકે. આમ અંદાજે 600 કરતાં વધારે લોકો એક સાથે રહી શકે તેવી સુવિધા ઊભી કરી છે. ફસાયેલા લોકો સામેથી અહીં આવે તેવું જ નહીં પણ જો કોઇ કોલ કરે તો વૈષ્ણવ સંઘ UAEની ટીમના સભ્યો તેમને ત્યાં લેવા માટે પણ પહોંચી જાય છે. મદદ માગે તેને લેવા માટે ટીમ પહોંચી જાયસાયાણીએ કહ્યું, ઘણા લોકોને ફાઇનાન્શિયલ ઇશ્યુ પણ થયા હતા. જેના કારણે તેઓ હોટલમાં પૈસા ભરી શકે તેમ નહોતા. આવા ઘણા લોકોએ મદદ મેળવવા માટે અમને કોલ કર્યા હતા. અમે વન બાય વન બેચ બનાવીને જ્યાં-જ્યાંથી કોલ આવ્યાં હતા ત્યાં જઇને તેમને પીક કરીને અમારા લોકેશન સુધી લાવ્યા હતા. અહીં એકસાથે 2 હજાર લોકોનું ભોજન બનાવી શકાય તેવી તૈયારી પણ છે.તેઓ કહે છે કે, અહીં અમે બેકઅપમાં એક સાથે 2 હજાર લોકોનું ભોજન બનાવી શકાય તેવી પણ તૈયારીઓ કરી દીધી છે. જેથી જો હજુ વધારે લોકો આવે તો તેમને પણ ભોજન પૂરું પાડી શકાય. આ સિવાય અમે અમારા સ્ટાફ મેમ્બર્સને પણ ગાડીના ડ્રાઇવર સાથે મોલ્સની બહાર સ્ટેન્ડબાયમાં રાખ્યાં છે. જેથી જો કોઇ વ્યક્તિને તાત્કાલીક મદદની જરૂર હોય તો તેને પણ હેલ્પ કરી શકાય. સવારથી રાત સુધી જુદી-જુદી એક્ટિવિટીઆ કેમ્પમાં રહેતા લોકો સવારે ઉઠે એટલે તેમને યોગ અને કસરત કરાવાયા છે. બપોરે અલગ અલગ એક્ટિવિટી અને સાંજે વિવિધ પ્રકારની ગેમ રમાડાય છે. જ્યારે રાત પડતાં જ મોટો પડદો લગાવીને ફિલ્મ બતાવાય છે, અંતાક્ષરી રમાડાય છે. જેથી તેમને ઘર જેવા વાતાવરણનો અનુભવ થાય. આની પાછળનું કારણ જણાવતા નિખિલે કહ્યું, અમે આ લોકો સાથે મુલાકાત કરી તો ધ્યાનમાં આવ્યું કે તેઓ ખૂબ જ ગભરાયેલા છે અને માનસિક તણાવમાં છે એટલે અમે લોકોએ નક્કી કર્યું કે આપણે તેમને કોઇને કોઇ રીતે બિઝી રાખવા જોઇએ જેથી અમે આખું શિડ્યુલ બનાવ્યું હતું. એરપોર્ટ સુધી મુકવા જાયહવે જેમ જેમ ફ્લાઇટ્સનું બુકિંગ મળે છે તેમ તેમ લોકો અહીંથી વિદાય લઇ રહ્યાં છે. આ લોકો ફ્લાઇટના સમય પહેલાં સુરક્ષિત રીતે એરપોર્ટ પહોંચી શકે તે માટે તેમને ડ્રોપ કરવા સુધીની વ્યવસ્થા પણ વૈષ્ણવ સંઘ UAEની ટીમે કરી છે. પ્રવાસીઓ આંખોમાં આંસુ સાથે વિદાય લે છેનિખિલ સાયાણીએ કહ્યું, અમે લોકોને મદદ કરી અને જ્યારે તેઓ પાછા ફરી રહ્યાં હતા ત્યારે તેમની આંખોમાં આંસુ હતા. તેઓ એવું કહેતા કે તમે પરિવારના સભ્યની જેમ અમારી કાળજી રાખી હતી. જ્યારે લોકો અહીં અટવાયા હતા ત્યારે જે હાવભાવ હતા તેના કરતાં હવે ખૂબ જ નોર્મલ થઇ ગયા છે. જે મહિલાઓ અહીં રોકાયેલી છે તેઓ રસોડાંમાં જઇને રસોઇ બનાવવામાં મદદ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 6:00 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ઈરાની જહાજ ભારતથી નીકળ્યું ને અમેરિકાએ ઉડાડ્યું; બિહારના CM નીતિશની ગુગલી, ગુજરાતમાં ધુળેટીના દિવસે પાણીએ 27નો ભોગ લીધો

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ભારતથી પરત ફરી રહેલા ઈરાની યુદ્ધજહાજ પર અમેરિકાના હુમલાના છે, જેમાં 80થી વધુ સૈનિકો માર્યા ગયા છે. બીજા સમાચાર બિહારથી છે, જ્યાં નીતીશ કુમારના રાજ્યસભામાં જવા અંગેની ચર્ચા છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. નેપાળમાં સામાન્ય ચૂંટણી માટે વોટિંગ થશે. 2025માં GEN-Z પ્રદર્શન બાદ આ પ્રથમ ચૂંટણી છે. 2. T-20 વર્લ્ડકપમાં બીજી સેમીફાઈનલ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમવામાં આવશે. કાલના મોટા સમાચારો 1. ભારતથી પરત ફરી રહેલા ઈરાની યુદ્ધ જહાજ પર અમેરિકાનો હુમલો:શ્રીલંકા પાસે ડૂબ્યું; 87 સૈનિકોનાં મોત; 32ને બચાવી લેવામાં આવ્યા આજે અમેરિકા-ઇઝરાયલ-ઈરાન યુદ્ધનો પાંચમો દિવસ છે. અમેરિકાએ શ્રીલંકા નજીક ભારતથી પરત ફરતા ઈરાની યુદ્ધ જહાજ આઈરિસ દેના પર હુમલો કરીને તેને ડૂબાડી દીધું છે. શ્રીલંકન સરકારના જણાવ્યા અનુસાર, આ હુમલામાં અત્યાર સુધીમાં 87 ઈરાની સૈનિકો માર્યા ગયા છે. યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગસેથે જણાવ્યું હતું કે હિંદ મહાસાગરમાં એક અમેરિકન સબમરીન ટોર્પિડોએ ઈરાની જહાજને ડૂબાડી દીધું હતું. શ્રીલંકાના નૌકાદળે 32 ઘાયલને બચાવ્યા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જહાજ પર આશરે 180 નૌસૈનિક હતા. ગુમ થયેલા લોકોને શોધવા માટે શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે. ગયા મહિને ભારતના વિશાખાપટ્ટનમમાં યોજાયેલા 2026 ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂમાંથી ઈરાની યુદ્ધ જહાજ પરત ફરી રહ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 2. બિહારના રાજકારણમાં મોટી ઊથલપાથલના સંકેત:મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજીનામુ આપી શકે, રાજ્યસભામાં જાય તેવી ચર્ચા; દીકરાની થશે રાજકારણમાં એન્ટ્રી? બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પોતાના પદ પરથી રાજીનામું આપીને રાજ્યસભામાં જોડાઈ શકે છે. બુધવારે સાંજે મુખ્યમંત્રી નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સંજય ઝા અને વિજય ચૌધરી હાજર રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ નીતિશને દિલ્હી જવા દેવા માંગતા નથી. છ કલાક ચાલેલી બેઠક દરમિયાન વિજય ચૌધરીએ મીડિયાને જણાવ્યું હતું કે અંતિમ નિર્ણય નીતિશ કુમારનો છે. અગાઉ, JDUએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે, નીતીશ કુમાર બિહારના સૌથી સ્વીકૃત નેતા છે. તેમની લોકપ્રિયતા આજે દરેક ક્ષેત્રમાં સ્પષ્ટપણે દેખાય છે. લોકોનો આ પ્રેમ અને અપાર સમર્થન તેમની સાચી ઓળખ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. યુદ્ધ માટે ભારતીય વિદેશ મંત્રાલયનો સ્પેશિયલ કંટ્રોલરૂમ:શ્રીનગરમાં સતત ચોથા દિવસે હાઈએલર્ટ, 4 દિવસમાં ભારતની 1117 ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ અમેરિકા, ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ઇરાને દુનિયાનો સૌથી મહત્વનો હોર્મુઝ રૂટ બંધ કરી દીધો છે. જેના કારણે ભારતીય ધ્વજવાળા 37 જહાજો અને તેમાં સવાર 1,109 ભારતીય નાવિકો હાલમાં ફારસની ખાડી અને ઓમાનની ખાડીમાં ફસાયેલા છે. યુદ્ધને કારણે પશ્ચિમ એશિયાના 8 દેશોએ એરસ્પેસ સંપૂર્ણપણે બંધ કરી દીધા છે. 28 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયા પછી અત્યાર સુધીમાં ભારતીય એરલાઇન્સે 1,117 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી છે. જેના કારણે હજારો મુસાફરો એરપોર્ટ પર ફસાયા છે. ખામેનીના મૃત્યુના થોડા જ કલાકોમાં, પાકિસ્તાનમાં હજારો ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા. તેઓએ કરાચીમાં US કોન્સ્યુલેટ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને ઇસ્લામાબાદમાં રાજદ્વારી વિસ્તારની બહાર પોલીસ સાથે અથડામણ કરી. સુરક્ષા દળો સાથેની અથડામણમાં ઓછામાં ઓછા 34 લોકો માર્યા ગયા. 120 થી વધુ લોકો ઘાયલ થયા. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ન્યૂઝીલેન્ડ T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચ્યું:સા. આફ્રિકાને 9 વિકેટે હરાવ્યું, ફિન એલને ટુર્નામેન્ટની ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારી ન્યૂઝીલેન્ડે બીજી વખત T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ટીમે બુધવારે રમાયેલી પહેલી સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકાને એક વિકેટથી હરાવ્યું. ટીમ પહેલીવાર 2021ની ફાઈનલમાં પહોંચી હતી. કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં કિવી ટીમના કેપ્ટન મિચેલ સેન્ટનરે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. સાઉથ આફ્રિકાએ 20 ઓવરમાં 8 વિકેટે 169 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડે 170 રનનો ટાર્ગેટ માત્ર 12.5 ઓવરમાં એક વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો. ફિન એલને 33 બોલમાં 100 રનની અણનમ ઇનિંગ રમી. તેણે T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારી છે. તેણે વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ બેટર ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો. ગેલે 2016માં ઇંગ્લેન્ડ સામે 47 બોલમાં સદી ફટકારી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 5. CNG-રસોઈ ગેસની કિંમતો વધી શકે છે:કતરમાં ગેસ ઉત્પાદન બંધ, ભારતમાં 40% સપ્લાય ઘટી; મિડલ-ઈસ્ટ યુદ્ધના કારણે સંકટ મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ભારતમાં CNG (કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) અને PNG (પાઈપ્ડ નેચરલ ગેસ)ની કિંમતો વધી શકે છે. ઈરાનના ડ્રોન હુમલા પછી ભારતને ગેસ સપ્લાય કરતો સૌથી મોટો દેશ કતાર તેના લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) પ્લાન્ટનું ઉત્પાદન રોકી ચૂક્યો છે. આનાથી ભારત આવતા જહાજોની અવરજવર અટકી ગઈ છે અને સ્થાનિક બજારમાં ગેસના સપ્લાયમાં 40% સુધીનો મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. ભારત તેની જરૂરિયાતની 40% LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ) એટલે કે વાર્ષિક આશરે 2.7 કરોડ ટન કતારથી જ આયાત કરે છે. વિદેશથી આવતી LNGને ગેસમાં રૂપાંતરિત કરીને જ CNG અને PNG સપ્લાય કરવામાં આવે છે. તેનો સપ્લાય અટકવાથી સિટી ગેસ કંપનીઓ (CGD)એ ચેતવણી આપી છે કે જો પરિસ્થિતિઓ જલ્દી સુધરશે નહીં, તો CNG અને PNGના ભાવ વધી શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. રાજ્યમાં ધૂળેટીની ખુશી માતમમાં ફેરવાઈ, ડૂબવાથી 27નાં મોત:મહીસાગરમાં 2 સગા ભાઈ સહિત 5, અમદાવાદના સીતાપુર અને સુરત કીમ નદીમાં 3-3 ડૂબ્યાં, માલપુરમાં 2 માસૂમ તણાયાં સમગ્ર દેશ અને રાજ્ય જ્યારે હોળી-ધૂળેટીના રંગોમાં તરબોળ હતું, ત્યારે ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં માતમના દૃશ્યો સર્જાયા છે. મહીસાગરમાં 2 સગા ભાઈ સહિત 5, સુરતના બારડોલીમાં 4, સુરતના માંગરોળ અને અમદાવાદના માંડલમાં 3-3, અરવલ્લીના માલપુર અને ધનસુરામાં તથા મહેસાણાના મોટીદઉમાં 2-2. કડી અને અમરેલીમાં એક-એક એમ ધૂળેટી રમીને નહાવા પડેલા કુલ 23 લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યાં છે. આ ઘટનાઓને પગલે જે પરિવારોમાં સવારે ગુલાલ ઉડતો હતો, ત્યાં સાંજે આક્રંદ જોવા મળ્યો હતો. અમદાવાદની સાબરમતી નદીમાં કુબેરનગરના ચાર યુવકોનું ડુબી જવાથી મોત નિપજ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. PIના ભાઈને પલંગ પર બાંધી લાકડીએ ફટકારી રહેંસી નાખ્યો:સુરત રિહેબ સેન્ટરમાં ક્રૂરતાપૂર્વક માર મારી હત્યા, 4 આરોપીઓએ ગળે મુક્કા માર્યા, કાન પાસે ઝાપટો ઝીંકી પતાવી નાખ્યો સુરત શહેરના ડુમસ રોડ પર સુલતાનાબાદ ખાતે આવેલા 'રિવા વ્યસન મુક્તિ અને રિહેબ સેન્ટર'માં માનવતાને શર્મસાર કરતી અને કાયદો-વ્યવસ્થાને પડકારતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વ્યસન મુક્તિની સારવાર માટે આવેલા 32 વર્ષીય યુવક ધવલ જયંતીભાઈ રાઠોડની સંસ્થાના કાઉન્સિલરો અને ડ્રાઈવરે ભેગા મળીને કરપીણ હત્યા કરી નાખી છે. મૃતક ધવલભાઈ પોલીસ ઇન્સ્પક્ટરના ભાઈ હતા, તેમ છતાં આ નરાધમોએ જરા પણ ખૌફ રાખ્યા વગર તેમને તાલિબાની સજા આપી મોતને ઘાટ ઉતારી દીધા છે. ચારેય આરોપીની ધરપકડ કરાઈ છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : ઓડિશા, 48 વર્ષ પછી જગન્નાથ મંદિરના રત્નોની ગણતરી:RBI ની દેખરેખ હેઠળ ભંડારમાં 25 માર્ચથી ગણતરી, રજીસ્ટર થયેલા સોની પણ હાજર રહેશે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ઈરાન-ઈઝરાયેલ યુદ્ધને કારણે બાસમતી ચોખાની નિકાસ અટકી:ફાઝિલ્કાથી મોકલાયેલા લાખો ટન ચોખા ફસાયા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુટ્યુબ સબ્સ્ક્રાઇબર્સ 3 કરોડ:ટ્રમ્પ કરતાં 7 ગણા વધુ; ઇન્સ્ટાગ્રામ પર પણ 10 કરોડ ફોલોઅર્સ સાથે ટોપ લીડર વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : જાપાનના કોડો ગ્રુપની વર્લ્ડ ટૂર:ડ્રમ માસ્ટર્સ બનવા માટે 2 વર્ષ ફોન-ઇન્ટરનેટ વિના રહેવું પડે છે, પોતાનું ભોજન જાતે બનાવે છે, પેરિસ પહોંચ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે અમેરિકી બજાર 400 અંક ઘટ્યું:48,501ના સ્તરે બંધ થયું; ટ્રમ્પના એક નિવેદનથી બજારમાં રિકવરી આવી વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલ મેચમાં ગેફની અને પાલેકર ફિલ્ડ અમ્પાયર હશે:મુંબઈમાં મેચ રમાશે; ભારતના નિતિન પ્રથમ સેમિફાઇનલમાં થર્ડ અમ્પાયર હશે વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ મથુરાની 150 વર્ષ જૂની ખાસડાં માર હોળી મથુરામાં 150 વર્ષ જૂની ખાસડાં માર હોળી રમવામાં આવી. આ અનોખી હોળીમાં વડીલો પોતાનાથી નાનાઓને જૂતા અથવા ચપ્પલ મારીને આશીર્વાદ આપે છે. તેને અપમાન નહીં, પરંતુ સ્નેહ, શુભેચ્છા અને સંસ્કારોનું પ્રતીક માનવામાં આવે છે. આ પરંપરા અંગ્રેજોના અત્યાચારોના વિરોધમાં શરૂ થઈ હતી. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. પારકી પંચાત : રાજકોટના મેયરે કોનું નામ લેવાનું ટાળ્યું?:વિરોધને ‘ષડયંત્ર’ ગણાવી સાંકેતિક ઈશારો કર્યો; બાપુએ કિર્તી પટેલને ધારાસભ્ય બનવાના આશીર્વાદ આપ્યા! 2. ગ્રાઉન્ડ રિપોર્ટ : મોરબી સિરામિક ઉદ્યોગ બંધ થવાના આરે:પ્રોપેન ગેસ સપ્લાય ખોરવાયો, કારખાનેદારોને કરોડોનું નુકસાન, લાખો શ્રમિકોની રોજગારી સંકટમાં, ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર 3. જે પ્રેમીમાં ઓતપ્રોત બની, તેણે જ પ્રોત પ્રકાશ્યું:બે દીકરીને લઈને કામિની પિયર ચાલી ગઈ, શરાબી પતિ પીછો કરતો રહ્યો ને અંતે જીવતી સળગાવી 4. ચૂંટણીમાં ફેક વીડિયો, PM મોદી-અમિતાભ બચ્ચન માંગી રહ્યા છે વોટ:આ વખતે બાલેન સરકારના આસાર, સરકાર બનાવવા જેવી બેઠકો કોઈને નહીં 5. તુર્કીથી આવેલી મીઠાઈ 'ગુજિયા' હોળીનો ભાગ કેવી રીતે બની:ભાંગ, રંગ ને પિચકારીની પણ અનોખી કહાની, બ્રિટીશર્સ કેવી રીતે મનાવતા હતા હોળી? 6. આજનું એક્સપ્લેનર:શું ખામેનીને મારીને અમેરિકા-ઇઝરાયલે ભૂલ કરી?, અપેક્ષા કરતાં વધુ ઈરાનની તૈયારી; આખરે યુદ્ધ કેટલા દિવસ ચાલશે કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ:કન્યા રાશિના ચંદ્રમાં મેષ-સિંહને મળશે મોટી સફળતા, વૃશ્ચિક-કુંભના અટકેલા કાર્યો થશે પૂર્ણ વાંચો સંપૂર્ણ રાશિફળ

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 5:00 am

'SVP હોસ્પિટલમાં સારવાર લેવા માટે જતા નહીં':અસ્થમાની સારવારે આવેલી માતાની સ્થિતિ અંગે દીકરીએ વીડિયો બનાવ્યો, કહ્યું- 'હૃદય 50% ચાલુ અને કોઈને કોઈ પેપર પર સહી કરાવે છે'

રાજ્યના આર્થિક પાટનગર એવા અમદાવાદમાં PM મોદી દ્વારા ઉદ્ધાટન કરવામાં આવેલી 800 કરોડના ખર્ચની સરદાર વલ્લભભાઈ પટેલ (SVP)માં યોગ્ય સારવાર ન મળતી હોવાની ફરિયાદ અને કોઈપણ વ્યક્તિ સારવાર માટે SVPમાં ન જાય તેવી એપીલ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. મહિલા દર્દીની પુત્રી દ્વારા તેની માતા સારી પરિસ્થિતિમાં સારવાર માટે SVP હોસ્પિટલમાં આવ્યા હતા, પરંતુ તેમની હાલત અત્યંત ગંભીર થઈ ગઈ હતી અને ICUમાં તેમને રાખવામાં આવ્યા હતા. SVP હોસ્પિટલમાં સારવાર કરવામાં આવતી ન હોવા અંગેનો વીડિયો બનાવી શેર કરવામાં આવતા તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી છે. SVP હોસ્પિટલના CEO દ્વારા સુપ્રિટેન્ડેન્ટ પાસે સમગ્ર ઘટના અંગે અને દર્દીની માહિતી માંગવામાં આવી છે અને તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. 'તેમને ચાર દિવસ સામાન્ય વોર્ડમાં રાખવામાં આવ્યા'અમદાવાદની ક્ષિતિષા સોની નામની યુવતી દ્વારા સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ કરવામાં આવ્યો છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, મારી માતા ગીરા સોનીને ડાયાબિટીસ અને અસ્થમાની તેમને તકલીફ હતી. ખાંસી વધારે આવતી હોવાથી તેમની સારવાર માટે 21 ફેબ્રુઆરી શનિવારે SVP હોસ્પિટલમાં આવ્યા હતા. ચાર દિવસ સામાન્ય વોર્ડમાં તેમને રાખવામાં આવ્યા હતા. 'અસ્થમાનો એટેક આવતા બ્રોન્સ્કોપક્રોપી કરાઈ નથી'તેમને બ્રોન્સ્કોપક્રોપી એટલે કે આંતરડામાં કેમેરો નાખીને કફ કાઢવામાં આવે છે. બ્રોન્સ્કોપક્રોપી સારવાર દરમિયાન તેમને અસ્થમાનો અટેક આવ્યો હતો. તેઓએ કહ્યું હતું કે તેમની બ્રોન્સ્કોપક્રોપી થઈ જ નથી. એટલે એમને વેન્ટિલેશન પર લઈ જવાના હતા. હું કલાક સુધી બહાર રાહ જોતી હતી અને વોર્ડના એક વ્યક્તિએ ત્યાં આવીને કહ્યું હતું કે, બ્રોન્સ્કોપક્રોપી થઈ રહી છે, પરંતુ મને કોઈએ કહ્યું હતું કે, જો અસ્થમાનો એટેક આવતા બ્રોન્સ્કોપક્રોપી કરાય નહી છતાં પણ તેમણે કરી હતી. 'હૃદય 50% ચાલે છે અને કોઈને કોઈ પેપર પર સહી કરાવે છે'જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, તમે બ્રોન્સ્કોપક્રોપી કેમ કરી તો તેમણે જણાવ્યું હતું કે, સારવાર દરમિયાન એટેક આવ્યો હતો અને સ્ટેટમેન્ટમાં તેમણે બદલાવ કરી દીધો હતો. મારી માતાને 10માં માળે આવેલા ICUમાં લઈ જવામાં આવ્યા હતા. તેમની તબિયત ખરાબ થતી જ જાય છે અને તેમના પેટમાં પાણી ભરાઈ ગયું છે. હૃદય પણ 50 ટકા ચાલે છે અને દરરોજ કોઈને કોઈ પેપર ઉપર સહી કરાવતા જતા હતા. 'ICUમાંથી કોઈપણ વ્યક્તિ ખુશ થઈને નીકળ્યું નથી'શરીરના અલગ અલગ અવયવોનું લખીને સહી કરાવતા હતા. ઓક્સિજનનું પ્રમાણ ઘટી રહ્યું હતું અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ સતત વધી રહ્યું હતું. બીજા દર્દીઓની પણ આવી જ સ્થિતિમાં છે કે જેમનું ઓક્સિજન ઘટી રહ્યું છે અને કાર્બન ડાયોક્સાઇડ વધી રહ્યું છે. એસવીપી હોસ્પિટલમાં આઈસીયુમાંથી કોઈપણ વ્યક્તિ અહીંયાથી ખુશ થઈ અને સારી રીતે નીકળ્યું નથી. દર્દીની હાલત ખૂબ જ ખરાબ થઈ રહી છે અને પેપરોના ફોટા પાડવાની વાત કરી તો ના પાડી હતી. 'શું તમે બધા અવયવોની સહી લેવા માંગો છો'તેમને કહ્યું હતું કે શું તમે બધા અવયવોની સહી લેવા માંગો છો. એવું લાગી રહ્યું હતું કે, આયુષ્યમાન કાર્ડના મફતના તેઓ દ્વારા પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. તેમની ઉપર પ્રયોગ કરવામાં આવી રહ્યા હોય તેવું લાગતું હતું. 'ICUમાં જોવા ગઈ ત્યારે તેમની આંખો કાળી થઈ ગઈ હતી'સિનિયર ડોક્ટર માત્ર એક જ વાર આવે છે, જ્યારે તેમને ICUમાં હું જોવા માટે ગઈ ત્યારે તેમની આંખો આખી કાળી થઈ ગઈ હતી અને મોઢા ઉપર માસ્ક લગાવવામાં આવ્યું હતું. એટલું જોરથી માસ્ક લગાવવામાં આવ્યું હતું કે, તેમને કહ્યું હતું કે તેમની આંખો જોઈ શકાય એવી સ્થિતિમાં નહોતી. આખી આવું રહ્યું ત્યારે હું સવારે મમ્મીને મળવા ગઈ ત્યારે એક વોર્ડનો માણસ હતો અને તેમના માસ્કને જોરથી દબાવતા હતા. 'ઘણી વિનંતી બાદ નગરી હોસ્પિટલમાંથી ડોક્ટરને બોલાવ્યા'ઘણી બધી વિનંતીઓ અને રોકકડ બાદ ડોક્ટરો બોલાવો હું તમને પૈસા આપું છું. ઘણી વિનંતી બાદ તેઓએ નગરી હોસ્પિટલમાંથી આંખના ડોક્ટરને બોલાવ્યા હતા. મને સમજાતું નથી કે કેવી રીતે આ અહીંયા સારવાર કરવામાં આવી રહી છે. કોઈ પ્રયોગ કરવામાં આવ્યા છે કે શું થઈ રહ્યું છે એની ખબર નથી. સારી પરિસ્થિતિમાં તેઓ તેમના માતાને લઈને આવ્યા હતા, પરંતુ ખરાબ હાલત થઈ ગઈ છે. 'શરીરમાં હાથમાં એટલા બધા પંચર કરી નાખવામાં આવ્યા'SVP હોસ્પિટલમાં આંખના કોઈ ડોક્ટર નથી અને બીજા ડોક્ટરને બોલાવતા તેમને આંખે પાણી આવી ગયા હતા. બાદમાં તેમણે ડોક્ટરને બોલાવ્યા અને આંખોમાં પટ્ટી બાંધી હોવાનું કહ્યું હતું. આંખોમાં કોઈ નસમાં કે અન્ય જગ્યાએ હેમરેજ થઈ રહ્યું છે અને તેમના હાથ પણ બાંધી દેવામાં આવ્યા છે. શરીરમાં હાથમાં એટલા બધા પંચર કરી નાખવામાં આવ્યા છે કે હવે તેમને નસ મળી રહી નથી અને ગળામાં નાખવામાં આવ્યું છે. 'SVP હોસ્પિટલમાં દાખલ થવાય નહીં'ઉલટીઓ થવાની અને પાણી તેમજ ખાવાનું કશું આપી ન શકાય તેવી સ્થિતિમાં હતી. મને ભવિષ્યમાં કોઈ પણ કહેશે કે SVP હોસ્પિટલમાં દાખલ થવાય તો મારી ખાસ વિનંતી અને ના છે કે દાખલ થવાય નહીં. યુવતીએ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. જે વીડિયો હોસ્પિટલ તંત્રના અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 12:05 am

સુરેન્દ્રનગર પોલીસે કાર બોનેટ પર રીલ બનાવનારને પકડ્યા:રિવરફ્રંટ નજીક રોફ જમાવતો વીડિયો વાયરલ કરવો ભારે પડ્યો

સુરેન્દ્રનગર શહેરમાં રિવરફ્રંટ નજીક કારના બોનેટ પર બેસીને રીલ બનાવવી ત્રણ મિત્રોને ભારે પડી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ બી ડિવિઝન પોલીસે ત્રણેય યુવકો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના એમ.પી. શાહ આર્ટ્સ કોલેજના ઢાળ પાસે આવેલા શ્રીમદ રાજચંદ્ર સર્કલ નજીક નવા બનેલા રિવરફ્રંટ ખાતે બની હતી. યુવકો GJ-09-BD-4457 નંબરની અલ્ટો કારના બોનેટ પર બેસીને રોફ જમાવતા જોવા મળ્યા હતા. વઢવાણના ઉપાસના સર્કલ પાસે દૂધની ડેરી નજીક રહેતા નટુભાઈ બચુભાઈ દેથરીયા અને તેમના મિત્રોએ આ વીડિયો બનાવ્યો હતો. તેમણે કારના બોનેટ પર બેસીને જાહેર માર્ગ પર ગાડી ચલાવી હતી અને તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ વાયરલ વીડિયો સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસના ધ્યાને આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ત્રણેય મિત્રોને શોધી કાઢી પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 10:31 pm

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે અસ્મિતા લીગનું આયોજન:સુરેન્દ્રનગરમાં નારી શક્તિનો ઉત્સવ, એથ્લેટિક્સ સ્પર્ધાઓ સહિત અન્ય મનોરંજક પ્રવૃત્તિઓનો સમાવેશ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર દ્વારા અસ્મિતા લીગ (Achieving Sports Milestone by Inspiring Women Through Action) નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પહેલ જિલ્લા પ્રશાસન, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI), MY Bharat અને જિલ્લા રમતગમત કચેરીના સંકલનથી યોજાશે. અસ્મિતા લીગ એ ખેલો ઇન્ડિયા યોજના હેઠળ Sports for Women ને પ્રોત્સાહન આપતી એક મુખ્ય પહેલ છે. તેનો મુખ્ય હેતુ દેશભરની દીકરીઓ અને મહિલાઓમાં રમતગમત પ્રત્યે વ્યાપક ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે. આ લીગમાં 100 મીટર, 200 મીટર અને 400 મીટર દોડ જેવી એથ્લેટિક્સ સ્પર્ધાઓ તેમજ અન્ય મનોરંજક પ્રવૃત્તિઓનો સમાવેશ થશે. સ્પર્ધા ત્રણ વય જૂથોમાં યોજાશે: અન્ડર-13 વર્ષ, 13 થી 18 વર્ષ અને 18 વર્ષથી વધુ. સુરેન્દ્રનગર જિલ્લામાં આ સ્પર્ધા 8 માર્ચ, 2026 ના રોજ જિલ્લા સ્પોર્ટ્સ કોચિંગ સેન્ટર, લીમડી ખાતે યોજાશે. તમામ ભાગ લેનારોએ સવારે 7:30 વાગ્યે રિપોર્ટિંગ કરવાનું રહેશે. જિલ્લાની તમામ દીકરીઓ અને મહિલાઓને આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા વિનંતી કરવામાં આવી છે. અસ્મિતા લીગ માત્ર એક સ્પર્ધા નથી, પરંતુ રમતગમત દ્વારા આત્મવિશ્વાસ, હિંમત અને મહિલા સશક્તિકરણનો ઉજાસ ફેલાવવાનું એક માધ્યમ છે. તમામ શાળાઓ, મહાવિદ્યાલયો, વાલીઓ અને સમાજના આગેવાનોને અપીલ છે કે તેઓ દીકરીઓ અને મહિલાઓને નોંધણી માટે પ્રોત્સાહિત કરે અને આ પ્રતિષ્ઠિત પહેલમાં સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરે. નોંધણી માટે mybharat.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકાય છે અથવા પ્રદાન કરેલા QR કોડને સ્કેન કરી શકાય છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 9:45 pm

મોરબીમાં આપઘાતના બે બનાવ:લાલપર પાસે યુવાન, મકનસરમાં યુવતીએ ગળાફાંસો ખાધો

મોરબી જિલ્લામાં આપઘાતના બે અલગ-અલગ બનાવ સામે આવ્યા છે. લાલપર ગામ પાસે એક યુવાને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે, જ્યારે મકનસર ગામે એક યુવતીએ પણ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. બંને ઘટનાઓની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રથમ બનાવ મોરબીના લાલપર ગામ પાસે આવેલી ઇપોસ સ્ટાઈલ કોલોનીના લેબર ક્વાર્ટરમાં બન્યો હતો. અહીં રહેતા 21 વર્ષીય નીરજ ઓમાન નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાની ઓરડીમાં ગળાફાંસો ખાઈ લીધો હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. આ ઘટના અંગે સાગરભાઈ શાંતિલાલ વરમોરાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી. પોલીસે આપઘાતનો ગુનો નોંધી મૃતક યુવાને કયા કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં તપાસ શરૂ કરી છે. બીજો બનાવ મોરબી-વાંકાનેર હાઈવે રોડ પર આવેલા મકનસર ગામે બન્યો હતો. અહીં રહેતા બીપીનભાઈની 20 વર્ષીય દીકરી રિયાબેને કોઈ કારણોસર પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. યુવતીના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ મારફતે આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 9:43 pm

હોળીના તહેવારમાં જુગારીઓ પર પોલીસની તરાપ:વરતેજમાં ખીજડાના ઝાડ નીચે જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા; રોકડ અને ગંજીપત્તા જપ્ત

ભાવનગર વરતેજ પોલિસે નવાગામ (ચિરોડા) પાવર હાઉસના પાછળના ભાગે ખીજડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં દરોડો પાડી જાહેરમાં હારજીતનો જુગાર રમતા 5 શખ્સોને ગંજીપત્તા અને રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. તમામ વિરુદ્ધ વરતેજ પોલીસ મથકમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમુક શખસો જાહેરમાં જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળીવરતેજ પોલિસ મથકેથી મળતી માહિતી અનુસાર, વરતેજ પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોળીના તહેવારને લઈ પેટ્રોલિંગમાં હતા.તે દરમિયાન બાતમી મળી કે, નવાગામ (ચિરોડા) પાવર હાઉસની પાછળના ભાગે આવેલા ખીજડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેર જગ્યામાં કેટલીક વ્યક્તિઓ ગંજીપત્તાના પાના વડે હાર-જીતનો જુગાર રમે છે. જુગાર રમતાં 5 શખસોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીપોલીસને મળેલી બાતમી આધારે, સ્થળ પર રેડ કરી અને તપાસ દરમિયાન શૈલેષ હિમતભાઈ મકવાણા રહે.નવાગામ (ચિરોડા), રાહુલ રમેશભાઈ મેર રહે. નવાગામ (ચિરોડા), શૈલેષ કલાભાઈ ડાભી રહે. કરદેજ ગામ, ભરત શૈલેષભાઈ ગોહેલ રહે. નવાગામ (ચિરોડા), ડાયા માવજીભાઈ મેર રહે. નવાગામ (ચિરોડા)ના રહેવાસીઓને ગંજીપત્તા અને રોકડ રૂ. 2410 સાથે ઝડપી પાડવામાં આવ્યા. કુલ 2410નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી અને શખ્સો વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 9:27 pm

મોડાસામાં રશિયન પર્યટકોએ ધુળેટીની ઉજવણી કરી:સ્થાનિક પરિવાર સાથે રંગોત્સવમાં જોડાયા, ભારતીય સંસ્કૃતિનો અનુભવ કર્યો

અરવલ્લીના મોડાસામાં આ વખતે ધુળેટી પર્વ ખાસ બની રહ્યો. રશિયાના મોસ્કો સ્થિત MBBS કોલેજના પ્રોફેસર સહિત સાત પર્યટકોએ સ્થાનિક પરિવાર સાથે રંગોના આ મહાઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરી.આ વિદેશી મહેમાનો ભારત પ્રવાસે આવ્યા હતા. ગુજરાતના વિવિધ સ્થળોની મુલાકાત લીધા બાદ તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા હતા. ત્યાંથી ખાસ ધુળેટી ઉજવવા માટે તેઓ મોડાસા પહોંચ્યા હતા. મોડાસાની એક સોસાયટીમાં આવેલા એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર ડૉ. પ્રશાંત મોદીના નિવાસસ્થાને આ રંગોત્સવનું આયોજન કરાયું હતું. તેમની દીકરી પલ મોદીને મોસ્કોમાં એડમિશન લેતી વખતે આ રશિયન પ્રોફેસરો સાથે પરિચય થયો હતો. આ સંબંધને વધુ મજબૂત બનાવવા રશિયન મહેમાનો ભારતીય સંસ્કૃતિને અનુસરીને સાડી પહેરીને ઉત્સવમાં જોડાયા હતા. તેમણે એકબીજાને અબીલ-ગુલાલ અને રંગબેરંગી રંગો લગાવ્યા હતા. ભારતીય પરંપરા સાથે એકબીજાના રાષ્ટ્રધ્વજ સાથે તેઓ ઉત્સવની ભાવનામાં સંપૂર્ણપણે રંગાઈ ગયા હતા. સંગીત, હાસ્ય અને ઉત્સાહ વચ્ચે ઉજવાયેલી આ ધુળેટીએ સંસ્કૃતિઓ વચ્ચે મિત્રતા અને સૌહાર્દનો સંદેશ આપ્યો. વિદેશી મહેમાનો માટે આ માત્ર એક તહેવાર નહોતો, પરંતુ ભારતીય સંસ્કૃતિને નજીકથી સમજવાનો એક અનોખો અવસર હતો. મોડાસામાં રશિયનોએ ઉજવેલો આ ધુળેટી પર્વ લાંબા સમય સુધી યાદગાર બની રહેશે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 9:13 pm

સિનિયર સિટિઝનને ટાર્ગેટ કરતી રીક્ષા ગેંગ ઝડપાઇ:મુન્દ્રા પોર્ટમાં કોપર અને એલ્યુમિનિયમ વાયરની ચોરી કરનાર ત્રણ ઝડપાયા, 45 લાખનો વાયરનો ભંગાર અને ટ્રક સહિત 57 લાખનો મુદ્દામાલ કબ્જે

કચ્છના મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અદાણી પોર્ટમાં થયેલી એલ્યુમીનીયમ અને કોપર વાયરની ચોરીનો ભેદ રાજકોટ ક્રાઈમ બ્રાંચે ઉકેલી રાજસ્થાન, મુન્દ્રા અને સુરેન્દ્રનગરનાં ત્રણ આરોપીઓને ઝડપી પાડી કુલ 57 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ટિમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજકોટ મોરબી હાઇવે પરથી ટ્રકને અટકાવી ટ્રકમાં સવાર જેતારામ પોકરરામ બલીયારા (ઉ.વ.50), પ્રિતેશ અમૃતલાલ રામાણી (ઉ.વ.28) અને યુવરાજસિંહ નટુભા ઝાલા (ઉ.વ.32)ને પકડી પાડી રૂ.45 લાખની કિંમતનો એલ્યુમિનિયમ અને કોપર વાયરનો ભંગાર, ટ્રક અને કન્ટેનર મળી રૂ.57 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ મામલે મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં રૂ.5 લાખની કિંમતનો 10 ટન સ્ક્રેપની ચોરી થવા મામલે ફરિયાદ નોંધાઈ છે. સિનિયર સિટિઝનને ટાર્ગેટ કરતી રીક્ષા ગેંગ ઝડપાઈરાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ટિમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે ચોક્કસ બાતમીના આધારે રીક્ષા ગેંગને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ શહેરમાં સિનિયર સિટિઝનને ટાર્ગેટ કરી રિક્ષામાં બેસાડી નજર ચૂકવી રોકડ તેમજ સોના ચાંદીના ઘરેણાં ઓળવી લેતી ગેંગના ત્રણ સભ્યો કુલદીપ પરમાર, રાજેશ પરમાર અને અશ્વિન મીઠાપરાને ઝડપી પાડી તેની પાસેથી સોનાનો ચેન, સોનાનું પેન્ડલ સોનાનો પાટલો અને એક રીક્ષા મળી કુલ 4.82 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માદક પદાર્થ કેસમાં અગાઉ ઝડપાયેલા આરોપી વિરુદ્ધ PIT હેઠળ કાર્યવાહીરાજકોટ શહેર વિસ્તારમાં અગાઉ ગેરકાયદેસર માદક પદાર્થના જથ્થા સાથે પકડાયેલા ઇસમો વિરૂદ્ધ PIT NDPS કાયદા હેઠળ દરખાસ્તો તૈયાર કરવા સૂચના મળતા શહેર SOG દ્વારા કિશન સુરેશભાઈ નાયડુ (ઉ.વ.19) વિરુદ્ધ વોરન્ટ ઇશ્યુ કરતા હુકમની બજવણી કરવામાં આવી હતી. જેથી આજરોજ SOG દ્વારા કિશન સુરેશભાઈ નાયડુની અટકાયત કરી સુરત લાજપોર જેલ હવાલે કરવામાં આવ્યો છે. આરોપી કિશન સુરેશભાઈ નાયડુ વિરુદ્ધ અગાઉ વર્ષ 2025માં પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ ચુકી હોવાનું સામે આવ્યું છે. PCBએ 1.24 લાખના દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો રાજકોટ શહેર PCB ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મવડી પાળ રોડ પર શ્રીરામ ચોક પાસે એક ઓટો રિક્ષામાંથી આરોપી ઋત્વિક ઉર્ફે રઘો જીપ્લોટ (ઉ.વ.22)ને રૂપિયા 1.24 લાખની 180 MLની 432 વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં વધુ બે આરોપી વિજય ઉર્ફે ટીટો ભટ્ટી અને તુષાર ઓડનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે. હાલ પોલીસે કુલ 1.64 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 9:02 pm

વડોદરાના વિશ્વકર્મા મંદિરમાં ધુળેટીની ઉજવણી:ભક્તિભાવ અને કીર્તન સાથે પાવન પ્રસંગ ભવ્ય રીતે ઉજવાયો

વડોદરાના ન્યાલકરણ વ્યુ સામે, ખોડીયાર નગર સ્થિત શ્રી વિશ્વકર્મા મંદિરમાં વિશ્વકર્મા સમાજ દ્વારા ધુળેટીનો પાવન પ્રસંગ ભક્તિભાવ અને આનંદ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ અવસરે મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના અને આરતીનું આયોજન કરાયું હતું. આ પાવન અવસરે ભક્તોએ ધુળેટીના કીર્તનોની રમઝટ સાથે ભક્તિમય માહોલ સર્જ્યો હતો. રંગો અને આનંદ વચ્ચે ભજન-કીર્તન દ્વારા સૌએ વિશ્વકર્મા દાદાને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કર્યો. મંદિર પરિસર ભક્તિ, ઉત્સાહ અને શ્રદ્ધાથી ગુંજી ઉઠ્યું હતું, અને સૌએ આનંદપૂર્વક આ પવિત્ર તહેવારની ઉજવણી કરી હતી. ભક્તોએ એકબીજાને રંગ લગાવીને ધુળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી. વિશ્વકર્મા મંદિરના પ્રમુખ રામગણેશ વિશ્વકર્માએ આ પ્રસંગે જણાવ્યું હતું કે સમાજની અંદર ભાઈચારો અને એકતા વધે તે હેતુથી દર વર્ષે ધુળેટીનો કાર્યક્રમ આયોજન કરવામાં આવે છે. આવા પાવન પ્રસંગો સમાજને એક મંચ પર લાવી પરસ્પર સ્નેહ અને સૌહાર્દ મજબૂત બનાવે છે. આ કાર્યક્રમમાં વિશ્વકર્મા સમાજના ઉપપ્રમુખ પન્નાલાલ વિશ્વકર્મા તેમજ કમિટી સભ્યો, સમાજના સભ્યો અને ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સૌએ મળીને આનંદ અને ભક્તિભાવ સાથે ધુળેટીનો તહેવાર ઉજવી સમાજમાં એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો. કાર્યક્રમના અંતે પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 8:40 pm

રૂપિયાની લેતીદેતી મામલે યુવક પર હુમલો:7 હજારની ઉઘરાણી મામલે મામાના દીકરાએ યુવાન પર લાકડાથી હુમલો કર્યો, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં રહેતા યુવાને તેના મામાના દીકરાને આપેલા રૂપિયાની ઉઘરાણી કરતા મામાના દીકરાએ યુવક પર લાકડાથી હુમલો કર્યો હતો. યુવાનને અપશબ્દો બોલી ઝઘડો કરી માથાના ભાગે માર મારી ઈજા પહોંચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યો હતો. ઇજાગ્રસ્તને સારવાર માટે સર.ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે ભરતનગર પોલીસે શખ્સ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રૂપિયા આપવા ઈનકાર કરી અપશબ્દો બોલવા લાગ્યોભરતનગર પોલીસ મથકથી મળતી માહિતી મુજબ, ભાવનગર શહેરના ભરતનગરના કૈલાસનગરમાં રહેતા રાહુલભાઈ ભોપાભાઈ પરમારે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓ પોતાના પિતા, માતા, મોટા બાપુના દીકરા તેમજ પ્રવીણભાઈ કરપીરામભાઈ સાથે ઘરે હાજર હતા, ત્યારે તેમના મામાનો દીકરો દેવપ્રસાદ સુખલાલભાઈ રાઠોડ ઘરે આવ્યો હતો. આ દરમિયાન રાહુલભાઈએ દેવપ્રસાદને અગાઉ આપેલા રૂપિયા 7000 પરત માંગતા તેણે રૂપિયા આપવા ઈનકાર કરી અપશબ્દો બોલવા લાગ્યો હતો. રાહુલના માથાના ભાગે લાકડું ફટકારી ઈજા પહોંચાડીઅપશબ્દો બોલવાની ના પાડતાં દેવપ્રસાદે ઘરમાં પડેલું લાકડું લઈને રાહુલભાઈના માથાના ભાગે ફટકારી ઈજા પહોંચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્ત રાહુલભાઈને સારવાર અર્થે સર.ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેની ફરિયાદના અનુસંધાને ભરતનગર પોલીસે દેવપ્રસાદ સુખલાલભાઈ રાઠોડ રહે. ભાવનગર સામે BNS કલમ 115(2), 352, 351(3) તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 8:30 pm

ગુજરાતમાં ધૂળેટીના પર્વે ઈમરજન્સી કેસોમાં વધારો:સાંજે 6 વાગ્યા સુધીમાં 3,796 કેસ નોંધાયા; સુરતમાં 50% તો અરવલ્લીમાં 63%નો ધરખમ ઉછાળો

આજે રાજ્યમાં ધૂળેટીના પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી, પરંતુ આ ઉજવણી વચ્ચે રાજ્યમાં ઈમરજન્સી કેસોની સંખ્યામાં પણ મોટો વધારો જોવા મળ્યો છે. આજે સાંજે 6 વાગ્યા સુધીના મળેલા આંકડાઓ મુજબ, સમગ્ર રાજ્યમાં ઈમરજન્સી સેવાઓ પર ભારણ વધ્યું છે. આજે સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યભરમાં કુલ 3,796 ઈમરજન્સી કેસો નોંધાયા છે. સામાન્ય દિવસો કરતા ઈમરજન્સી કેસોમાં ઉછાળોસામાન્ય દિવસોમાં સરેરાશ 3,266 કેસો નોંધાતા હોય છે, જેની સરખામણીએ આજે 530 વધુ કેસો નોંધાયા છે. એટલે કે રાજ્યમાં કુલ 16.22% નો વધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ 723 કેસો સાથે યાદીમાં સૌથી વધુ છે. સુરતમાં કેસોમાં ધરખમ 50.93%નો વધારો નોંધાયો છે (કુલ 455 કેસ). અરવલ્લીમાં ટકાવારીની દ્રષ્ટિએ અરવલ્લીમાં સૌથી વધુ 63.39%નો ઉછાળો જોવા મળ્યો છે. અન્ય જિલ્લાઓની વાત કરીએ તો, મોરબી, તાપી અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓમાં પણ સામાન્ય દિવસો કરતા વધુ ઈમરજન્સી કેસો સામે આવ્યા છે. તમામ ઈમરજન્સી સેવાઓને એલર્ટ પર રાખવામાં આવીકેટલાક જિલ્લાઓ જેમ કે જૂનાગઢ, આણંદ અને સુરેન્દ્રનગરમાં સામાન્ય દિવસો કરતા કેસોમાં ઘટાડો પણ જોવા મળ્યો છે. તહેવારના દિવસે માર્ગ અકસ્માતો, મારામારી અને અન્ય તબીબી ઈમરજન્સીને કારણે આ આંકડો વધ્યો હોવાનું અનુમાન છે. તંત્ર દ્વારા તમામ ઈમરજન્સી સેવાઓને એલર્ટ પર રાખવામાં આવી છે. જાણો ક્યાં શહેરોમાં કેટલા કેસ નોંધાયાઅમદાવાદમાં સૌથી વધુ 723 કેસો નોંધાયા છે, જ્યારે સુરતમાં 455 અને વડોદરામાં 195 કેસો નોંધાયા છે. રાજકોટમાં 191, દાહોદમાં 139, વલસાડમાં 135 અને કચ્છ જિલ્લામાં 134 ઈમરજન્સી કેસો સામે આવ્યા છે. ભાવનગરમાં આ આંકડો 110 રહ્યો છે, જ્યારે જામનગરમાં 104 અને ગાંધીનગરમાં 94 કેસો નોંધાયા છે. પંચમહાલમાં 88, તેમજ તાપી અને છોટાઉદેપુર બંને જિલ્લામાં 87-87 કેસો નોંધાયા છે. ભરૂચમાં 86, ખેડામાં 84 અને મોરબીમાં 83 કેસો નોંધાયા છે. તે જ રીતે અમરેલીમાં 80, બનાસકાંઠામાં 79, મહેસાણામાં 78, જૂનાગઢમાં 76 અને સાબરકાંઠામાં 75 કેસોની એન્ટ્રી થઈ છે. આણંદમાં 66, દેવભૂમિ દ્વારકામાં 62 અને અરવલ્લીમાં 61 કેસો નોંધાયા છે. જ્યારે નવસારીમાં 60, જ્યારે મહીસાગર અને નર્મદામાં 57-57 કેસો નોંધાયા છે. સુરેન્દ્રનગરમાં 54, પાટણમાં 47, ડાંગ અને પોરબંદરમાં 44-44 કેસો નોંધાયા છે. ગીર સોમનાથમાં 38 અને બોટાદમાં સૌથી ઓછા 23 ઈમરજન્સી કેસો નોંધાયા છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 8:26 pm

બોટાદમાં સ્વામિનારાયણ મંદિરે વિરાટ હિન્દુ સંમેલન:સંતો-મહંતો સહિત મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જોડાયા

બોટાદના રજપુત ચોરા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરે વિરાટ હિન્દુ સંમેલન યોજાયું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપનાના શતાબ્દી વર્ષ નિમિત્તે દેશભરમાં આયોજિત હિન્દુ જાગરણ કાર્યક્રમોના ભાગરૂપે આ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં અનેક સંતો-મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમાં ભજનાનંદ આશ્રમથી આત્માનંદ સરસ્વતી, સ્વામિનારાયણ ગુરુકુળથી માધવ સ્વરૂપદાસજી, નવહથ્થા હનુમાનજી મંદિરથી નિર્મળાનંદ સરસ્વતી, મહાકાળી ધામથી ભાવેશ બાપુ, શનિદેવ મંદિરથી જમનાદાસ બાપુ અને દીપચંડી આશ્રમથી મહાસુખાનંદ બાપુનો સમાવેશ થાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય સંતો પણ હાજર રહ્યા હતા. બોટાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો આ કાર્યક્રમમાં જોડાયા. વિશ્વ હિન્દુ પરિષદના ધર્મજાગરણ રાષ્ટ્રીય સહમંત્રી ધર્મેન્દ્રભાઈ ભાવાણી અમદાવાદથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે લોકોને ધર્મ પ્રત્યે જાગૃત કરવા માટે સંબોધન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 8:19 pm

વલસાડમાં જર્જરિત સેવા સદન-1 તોડવાની કામગીરી શરૂ:વર્ષો જૂની ઇમારત ભયજનક જાહેર થતા ડિમોલિશન હાથ ધરાયું

વલસાડ શહેરમાં વર્ષો જૂનું સેવા સદન-1 હવે ભૂતકાળ બનશે. સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટમાં જર્જરિત અને ભયજનક જાહેર કરાયા બાદ, તંત્ર દ્વારા તેને તોડી પાડવાનો નિર્ણય લેવાયો હતો. આજે કોન્ટ્રાક્ટર દ્વારા સુરક્ષાના સાધનો સાથે ડિમોલિશનની કામગીરી વિધિવત રીતે શરૂ કરવામાં આવી છે. આ સાથે જ નવી આધુનિક બિલ્ડિંગ માટેનો માર્ગ મોકળો થયો છે. ડિમોલિશન સ્થળે એજન્સી દ્વારા મશીનરી અને મજૂરો તૈનાત કરવામાં આવ્યા છે. કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે, બિલ્ડિંગના વધુ જોખમી હિસ્સાઓને પ્રાથમિકતા આપીને ઉતારવામાં આવી રહ્યા છે. આસપાસના વિસ્તારમાં અવરજવર કરતા લોકોને કોઈ તકલીફ ન પડે અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. આ ઇમારતને તોડી પાડવાનો નિર્ણય તેની જર્જરિત અવસ્થાને કારણે લેવાયો છે. બિલ્ડિંગના સ્લેબ અને પિલરમાં તિરાડો પડી ગઈ હતી, જેના કારણે તે ગમે ત્યારે ધરાશાયી થવાની સ્થિતિમાં હતી. રોજેરોજ સેંકડો અરજદારોની અવરજવર રહેતી હોવાથી મોટી જાનહાનિનું જોખમ હતું. આ જગ્યા ખાલી થયા બાદ ત્યાં નવા સુવિધાસભર સરકારી સંકુલના નિર્માણની શક્યતાઓ છે. કામગીરી સંભાળી રહેલા કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે, અમે અત્યાધુનિક મશીનરીની મદદથી બિલ્ડિંગને સુરક્ષિત રીતે તોડી રહ્યા છીએ. કાટમાળ ખસેડવાની કામગીરી પણ સાથે જ ચાલશે જેથી ટ્રાફિક કે ધૂળની સમસ્યા ન રહે. હાલમાં સેવા સદન-1 ની તમામ કચેરીઓ અન્યત્ર ખસેડવામાં આવી છે. બિલ્ડિંગ સંપૂર્ણ ધરાશાયી થયા બાદ આ વિશાળ જગ્યાનો ઉપયોગ નવા પ્રોજેક્ટ માટે કરવામાં આવશે, જેનાથી વલસાડના વહીવટી માળખાને નવું બળ મળશે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 8:12 pm

Editor’s View : ધુળેટી પછી નેપાળમાં ચૂંટણીની હોળી:કાલના મતદાન પર ભારતની નજર કેમ?; 10 લાખ નવા મતદારો જેન-ઝી નેતાઓની જ બાજી બગાડી શકે; જાણો ત્રિપાંખિયા જંગની ચોથી બાજુ

આપણે ત્યાં ધુળેટી પૂરી થઈ ગઈ, પણ નેપાળમાં આવતીકાલે એટલે કે 5 માર્ચે ચૂંટણીની હોળી છે. 2008માં રાજાશાહીની સમાપ્તી પછીની નેપાળની સૌથી મોટી બીજી ચૂંટણી છે. પહેલી ચૂંટણી 2017માં થઈ હતી. સપ્ટેમ્બર 2025માં નેપાળના જેન-ઝી તોફાનો થયા. વડાપ્રધાન કેપી શર્મા ઓલી રાજીનામું આપીને ભાગી ગયા. સુશીલા કાર્કી વચગાળાનાં વડાપ્રધાન બન્યાં. આ વખતની ચૂંટણી બે-ત્રણ રીતે મહત્વની છે. એક તો નેપાળમાં જેન-ઝી નેતાઓ પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે. બીજું, ભૂતપૂર્વ વડાપ્રધાનો કેપી શર્મા ઓલી અને પુષ્પકમલ દહલ પ્રચંડ ફરીવાર ચૂંટણી મેદાનમાં છે અને ત્રીજું, એક-બે નહીં 68 પાર્ટીઓ લડે છે. જો ગઠબંધન સરકાર આવી તો ભારત માટે મુશ્કેલી ઊભી થશે. ચીન તરફી વિચારધારાની સરકાર આવી તો પણ ભારતને તકલીફ. આપણા માટે જરૂરી એ છે કે ભારતની પડખે રહે તેવી સરકાર આવે. નમસ્કાર, દાયકા પહેલાં નેપાળ ભારતનો 28મો મોટો બિઝનેસ પાર્ટનર દેશ હતો, આજે 14મો સૌથી મોટો બિઝનેસ પાર્ટનર છે. ભારત નેપાળને 7 અબજ ડોલરથી વધુ કિંમતના માલની નિકાસ કરે છે. તો નેપાળથી 1 અબજ ડોલરથી વધુ કિંમતનો માલ પણ ખરીદે છે. આનો અર્થ એ થયો કે બંને દેશો વચ્ચે 8 અબજ ડોલરથી વધુનો વેપાર થાય છે. ભારતના 5 રાજ્યોની સરહદ નેપાળ સાથે જોડાયેલી છે. નેપાળ ને ભારત વચ્ચે સંબંધો એકસરખા નથી રહ્યા. કોઈરાલા સરકાર વખતે સારા સંબંધો હતા તો ઓલી વખતે સંબંધો બગડ્યા. હવે સ્થિર સરકાર આવે તે ભારત માટે જરૂરી છે. પહેલા નેપાળની ચૂંટણીનું સ્ટ્રક્ટર જાણી લો ભારતમાં નીચલા ગૃહને લોકસભા અને ઉપલા ગૃહને રાજ્યસભા કહે છે. શક્તિ નીચલા ગૃહ પાસે રહે છે. નેપાળની સંસદમાં બે સદન છે. નીચલા ગૃહને પ્રતિનિધિ સભા અને ઉપલા ગૃહને રાષ્ટ્રીય સભા કહે છે. પ્રતિનિધિ સભા ભારતની લોકસભા જેવી જ છે. અસલી શક્તિ તેની પાસે જ હોય છે. પ્રતિનિધિ સભામાં કુલ 275 સીટ છે. 165 સીટ પર સીધું મતદાન અને 110 સીટ પર પ્રપોર્શનલ (અનુપાતિક) મતદાન કરીને ચૂંટણી થાય છે. ત્રણ મુખ્ય ડાબેરી પક્ષોના વડાપ્રધાનની હાલત શું છે? પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીને સત્તાનો મોહ જતો નથી નેપાળમાં 3 મુખ્ય ડાબેરી પક્ષો છે. પૂર્વ વડાપ્રધાન કેપી ઓલીની CPN-UML, પૂર્વ વડાપ્રધાન પ્રચંડની CPN-MC માઓઇસ્ટ સેન્ટર અને ભૂતપૂર્વ પીએમ માધવ કુમારની CPN યુનિફાઇડ સોશિયાલિસ્ટ. ત્રણેય પક્ષોના નેતાઓ ઈચ્છે છે કે આ ટોચના લીડર પાર્ટીથી દૂર રહે કારણ કે તેનાથી પાર્ટીનું વાતાવરણ ખરાબ થાય છે. CPN-UML પ્રમુખ કેપી શર્મા ઓલી છેલ્લા એક દાયકાથી પાર્ટીનું સુકાન સંભાળી રહ્યા છે અને ચાર વખત વડાપ્રધાન રહી ચૂક્યા છે. તેમની પાર્ટીએ ડિસેમ્બર-2025માં બંધારણમાં ફેરફાર કર્યો ને પાર્ટીના પ્રમુખ ઓલીને જ બનાવ્યા. જેન-ઝી તોફાનો વખતે ઓલીના સરકારી આવાસ તેમજ તેમના બે ખાનગી આવાસોને આગ ચાંપી દીધી હતી. તેમના જન્મસ્થળ અથારાથુમમાં પણ આગ લગાવી દીધી. આખરે ઓલીને લશ્કરી બેરેકમાં આશરો લેવો પડ્યો. આ એ જ ઓલી છે જેણે પંચાયતના સમયગાળા દરમિયાન ચૌદ વર્ષ જેલમાં વિતાવ્યા હતા. નેપાળમાં શાંતિ થયા પછી ઓલી ફરી બહાર આવ્યા ને ચૂંટણીની તૈયારીમાં પડી ગયા. તે જાંપાપાસ સીટ પરથી લડે છે. આટઆટલું થયા પછી પણ ઓલીને સત્તાનો મોહ જતો નથી. પૂર્વ વડાપ્રધાન પ્રચંડ આર્મી બેરેકમાં આશરો લઈ રહ્યા છે ઓલી પહેલાં પુષ્પકમલ દહલ પ્રચંડ વડાપ્રધાન હતા. તે પણ ઓલીની જેમ આર્મી બેરેકમાં સારા દિવસોની રાહ જોઈ રહ્યા છે. માઓવાદી અધ્યક્ષ પ્રચંડની સ્થિતિ પણ આવી જ હતી. તે દસ વર્ષ સુધી લોકશાહી માટે લડ્યા. ત્રણ વખત વડાપ્રધાન બન્યા અને 37 વર્ષ સુધી પાર્ટીનું સુકાન સંભાળ્યું. પરંતુ તેમને Gen-Z આંદોલનનું નુકસાન પણ સહન કરવું પડ્યું. 20 વર્ષમાં પહેલીવાર તેમણે સૈન્ય બેરેકમાં આશરો લેવો પડ્યો. તોફાનીઓએ તેમના ઘરને આગ લગાવી દીધી અને બધું જ બરબાદ કરી દીધું. તેમણે પોતાની પાર્ટી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ (મોઓઈસ્ટ સેન્ટર) એટલે CPN-MCને મજબૂત બનાવી છે. 10 પાર્ટી સાથે ગઠબંધન કરીને તે ફરીવાર ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. બે વડાપ્રધાનો જેવી જ હાલત છે ત્રીજા પૂર્વ વડાપ્રધાન માધવકુમારની અન્ય એક ડાબેરી પક્ષ સીપીએન યુનિફાઇડ સોશિયાલિસ્ટ નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન માધવ કુમારની હાલત પણ આવી જ હતી. સપ્ટેમ્બરમાં પ્રદર્શનકારીઓએ તેમના ઘરને પણ આગ લગાવી દીધી હતી. સુરક્ષા કર્મચારીઓએ તેમને બચાવ્યા અને આર્મી બેરેકમાં લઈ ગયા. સીપીએન યુનિફાઇડ સોશિયાલિસ્ટ નેતા ઝાલનાથ ખાનલ જે સુધી CPI-MLના મહાસચિવ હતા અને પછી UMLના પ્રમુખ બન્યા હતા. તે હવે યુનિફાઇડ સોશિયાલિસ્ટ પાર્ટીના વરિષ્ઠ નેતા છે. દલ્લુ ગામમાં તેમના ઘરને પણ પ્રદર્શનકારીઓએ આગ લગાવી દીધી હતી. તેમનાં પત્ની રવિલક્ષ્મી ચિત્રકર ખરાબ રીતે દાઝી ગયાં હતાં. તેમની પાર્ટીમાં ફાંટફૂટ બહુ છે. તેની જ પાર્ટીના નેતાઓ ઈચ્છતા નથી કે માધવકુમાર ફરી ચૂંટણી લડે. આ વખતે ચૂંટણી મહત્વની કેમ? જેન-ઝી પ્રદર્શન દરમિયાન નેપાળના સત્તાધિશોને સમજાઈ ગયું છે કે હવે દેશમાં નીતિગત સુધારા લાવવા પડશે એટલે કોઈપણ પાર્ટી જેન-ઝીને રીઝવવા એડીચોટીનું જોર લગાવશે. એ દ્રષ્ટિએ પણ આ ચૂંટણી મહત્વની બની રહેશે. નેપાળમાં પાર્ટીઓએ છેલ્લા 17-18 વર્ષોમાં માત્ર પોતાના સ્વાર્થો પર ધ્યાન આપ્યું. પાંચ મહિનામાં એક સરકાર, પાંચ મહિના પછી બીજી સરકાર બનવા જેવી સ્થિતિ થઈ. લોકતંત્રને સંભળાવું મુશ્કેલ બની ગયું હતું. મોટા વિધ્વંશ પછી ચૂંટણી થઈ રહી છે એટલે આ ચૂંટણીના પરિણામો નિર્ણાયક રહેશે. જો ગઠબંધનની સરકાર બને છે તો ગઠબંધનમાં કલહ રહેશે. આ ગઠબંધન સરકાર જેન-ઝીની ઈચ્છાઓને પૂરી નહિ કરી શકે એટલે ફરી તોફાનો થવાની સંભાવના વધી જાય છે. ગઠબંધન સરકારના ભારત સાથે સારા સંબંધો નહિ રહે. દેશમાં અસ્થિર સરકાર બનશે તો વિદેશ નીતિ પણ અસ્થિર રહેશે. જરૂરી છે કે આ વખતની ચૂંટણી પછી નેપાળમાં સ્થિર સરકાર આવે. માટે આ વખતે નેપાળની ચૂંટણી મહત્વની બની જાય છે. નેપાળમાં ઓલી અને બાલેન શાહનું ગઠબંધન સંભવ કેટલાક દિવસો પહેલાં ભારતના મનોહર પરિકર ઈન્સ્ટીટ્યૂટ ઓફ ડિફેન્સ સ્ટડીઝ વેબસાઈટ પર નેપાળની ચૂંટણીનું વિશ્વલેષણ કરવામાં આવ્યું. જેમાં લખ્યું હતું કે ચૂંટણીમાં કોઈપણ પાર્ટીને બહુમતી નહિ મળે. કોઈપણ પાર્ટીની સ્પષ્ટ બહુમતીની સંભાવના બહુ ઓછી છે. ચૂંટણી પછી કેપી શર્મા ઓલીની CPN-UML અને બાલેનની રાષ્ટ્રીય સ્વતંત્ર્ય પાર્ટી (RSP) કેન્દ્રમાં રહેવાની આશા છે. CPN-UMLને નેપાળમાં મજબૂત માનવામાં આવે છે. જ્યારે RSPને યંગ સ્ટર્સમાં લોકપ્રિય મનાય છે. બંને પાર્ટીને બહુમત ન મળે તો બંને પાર્ટી ગઠબંધન કરવાના મૂડમાં છે. ઓલી અને બાલેન શાહ સાથે મળીને સરકાર ચલાવે એવું પણ બને. નેપાળની ચૂંટણી પર ભારતની નજર કેમ? નેપાળની ખુલી સરહદો ત્રણ દિશાઓમાં ભારતના પાંચ રાજ્યો સાથે જોડાયેલી છે. ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કીમ. ઉત્તરમાં તિબેટના પઠાર સાથે સરહદના કારણે અહિંની જિયોપોલિટલ સ્થિતિ અને ચીનના વધતા પ્રભાવના કારણે પશ્ચિમી દેશોને પણ રસ બતાવતા રહ્યા છે. 2017માં તત્કાલિન વડાપ્રધાન પુષ્પકમલ દહાલ પ્રચંડની સરકાર ચીનની પરિયોજના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવમાં સામેલ થઈ હતી. બાદમાં 2024ના અંતમાં કેપી શર્મા ઓલીના નેતૃત્વમાં બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવના કરાર પર સહી થઈ. બંને સમયે નેપાળી કોંગ્રેસ ગઠબંધનનો ભાગ હતી. ભારતના 5 રાજ્યોની સરહદ નેપાળ સાથે જોડાયેલી છે….જુઓ મેપ બનારસ હિન્દુ યુનિવર્સિટીના નેપાળ અધ્યયન કેન્દ્રના પ્રોફેસર એન.પી.સિંહનું કહેવું છે કે નેપાળના કેટલાક નેતાઓ ચીન તરફ ઝૂકેલા છે.જ્યારે ઓલી કે પ્રચંડની સરકાર બની ત્યારે તે વૈચારિક રૂપે ચીન સાથે જોડાઈ ગયા હતા. ચીન નેપાળને ડિફેન્સમાં મદદ કરે છે. આપણે એવું ક્યારેય કહેતા નથી કે ચીન સાથે સંબંધ ખરાબ કરવામાં આવે. પણ નેપાળે હંમેશા યાદ રાખવું જોઈએ કે ભારત સાથે તેનો સંબંધ એવો નથી કે આપણે તેને દેવાંની જાળમાં ફસાવી દઈએ. આપણે વિકાસમાં સહયોગી બનવા માગીએ છીએ. આપણો સંબંધ એવો નથી કે દરેક નિર્ણય માટે તેમણે આપણી સાથે ચર્ચા કરવી પડે. નેપાળનું ભૂગોળ ભારતની ફેવરમાં છે અને નેપાળમાં કોઈની પણ સરકાર આવે, તેણે દિલ્હી સાથે મળીને કામ કરવું પડશે. નેપાળની ચૂંટણીમાં જેન-ઝી મેદાન મારી જશે? તોફાન વખતે ઘણા જેન-ઝી નેતાઓ ઉભરી આવ્યા હતા. એમાંથી મોટાભાગના હવે અલગ-અલગ પોલિટિકલ પાર્ટીઓમાં છે. જેમની સાથે તેમના વિચારો મળે છે, તેઓ તેમની સાથે જોડાઈ ગયા. મોટાભાગના નેપાળી કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે મળીને કામ કરે છે. જેન-ઝીની જ અલગ પોલિટિકલ પાર્ટી પણ બની છે.- નામ છે જેન-ઝી રિવોલ્યુશન નેપાળ. આ પાર્ટીના લીડર છે 26 વર્ષના ટંકા ધામી. ટંકા ધામી નવી સરકાર પાસેથી અપેક્ષા રાખે છે કે તેઓ યુવાઓને નેતૃત્વમાં સામેલ કરે અને કરપ્શન ખતમ કરે. ટંકા ધામીએ મીડિયા સાથેની વાતચીતમાં કહેલું કે જ્યાં સુધી બાલેન શાહ અને રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીનો સવાલ છે, અમને તેમના એજન્ડા અને ડેવલપમેન્ટના પ્લાન પર શંકા છે. દેશને આગળ કેવી રીતે વધારવામાં આવશે, અમને તેનો ક્લિયર રોડમેપ જોઈએ, જે તેમની પાસે દેખાતો નથી. બાલેન શાહ વચન મોટા મોટા આપે છે પણ કામ કરતા નથી. સવાલ એ છે કે જે જેન-ઝી નેતાઓ ચૂંટણી લડી રહ્યા છે તે મેદાન મારી જશે? પણ તેમાં શંકા છે. કારણ કે બાંગ્લાદેશમાં પણ આંદોલનકારી નેતાઓ ચૂંટણી લડ્યા હતા પણ બધા ઝીરોએ આઉટ થઈ ગયા. એટલે આંદોલનના ચહેરા મત ખેંચી શકે તે જરૂરી નથી. આંદોલનોનો જનતાંત્રિક આધાર નથી હોતો. એકાએક આવેલા વિદ્યાર્થી નેતાઓને લોકો તરત સ્વીકારતા નથી. જે નેતાઓ વર્ષોથી રાજનીતિમાં છે, અનુભવ છે તેની સાથે જ મતદારો જઈ શકે તેવી સંભાવના વધારે છે. છેલ્લે, નેપાળમાં જેન-ઝી તોફાનો પછી સુશીલા કાર્કી વચગાળાના વડાપ્રધાન બન્યાં. એ વખતે નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર અભિનંદન આપતાં લખ્યું હતું કે, I extend my best wishes to Right Hon. Mrs. Sushila Karki... આ મેસેજમાં મોદીએ 'Right' શબ્દ લખ્યો હતો તેની ચર્ચા બહુ થઈ હતી પણ આ શબ્દ મોદીએ કેમ લખ્યો, તે કોયડો ઉકેલાયો નથી. બની શકે કે ચૂંટણીના પરિણામો પછી આપણને આ કોયડાનો જવાબ મળી જાય. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચ- યશપાલ બક્ષી)

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 7:55 pm

કુકરદામાં રસ્તાના અભાવે પ્રસૂતાને ઝોળીમાં ઉચકી:ગ્રામજનોએ એક કિલોમીટર સુધી લઈ જવી પડી, 108 દ્વારા હોસ્પિટલ ખસેડાઈ

નસવાડી તાલુકાના કુકરદા ગામમાં પાકા રસ્તાના અભાવે ફરી એકવાર વિકાસના દાવા પોકળ સાબિત થયા છે. પ્રસૂતિ પીડા ભોગવી રહેલી એક મહિલાને પરિવારજનો અને ગ્રામજનો દ્વારા લગભગ એક કિલોમીટર સુધી ઝોળીમાં ઉચકીને 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવી હતી. ત્યારબાદ તેને તણખલા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટના કુકરદા ગામના દુકતા ફળિયામાં બની હતી. સુનિલા નામની મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની જરૂર પડી હતી. જોકે, ગામમાં પાકા રસ્તા ન હોવાથી વાહનવ્યવહાર શક્ય નહોતો. પરિણામે, ગ્રામજનોએ કપડાની ઝોળી બનાવીને મહિલાને તેમાં સુવડાવી, ખાડાટેકરાવાળા રસ્તાઓ અને કોતરો ઓળંગીને મુખ્ય રસ્તા પર ઉભેલી 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બહુલ્ય ધરાવતો અને અંતરિયાળ ડુંગરાળ વિસ્તાર છે. અહીં આજે પણ અનેક ગામોમાં પાકા રસ્તાનો અભાવ જોવા મળે છે. જેના કારણે બીમાર વ્યક્તિઓ અને પ્રસૂતા મહિલાઓને હોસ્પિટલ પહોંચાડવા માટે ઝોળીનો સહારો લેવો પડે તેવી ઘટનાઓ અવારનવાર સામે આવે છે. એક તરફ સરકાર છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાના દાવા કરે છે, ત્યારે બીજી તરફ પાયાની સુવિધા એવા પાકા રસ્તા બનાવવામાં તંત્રની ઉદાસીનતા સ્પષ્ટ દેખાઈ રહી છે. આ પરિસ્થિતિનો ભોગ જિલ્લાની ગરીબ આદિવાસી જનતા બની રહી છે. જિલ્લાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારોમાં તાત્કાલિક પાકા રસ્તા બનાવવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 7:50 pm

આદિવાસીઓએ ધગધગતા અંગારા પર ચાલી માનતા પૂરી કરી:છોટા ઉદેપુરમાં ચૂલનો મેળો યોજાયો, વિદેશી પર્યટકો પણ ઉમટ્યા

છોટા ઉદેપુર જિલ્લામાં હોળીના બીજા દિવસે, ધૂળેટી પર્વ નિમિત્તે ચૂલનો મેળો યોજાયો હતો. આ મેળામાં મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડ્યા હતા, જેમણે ધગધગતા અંગારા પર ચાલીને પોતાની માનતાઓ પૂરી કરી હતી. વિદેશી પર્યટકોએ પણ આ અનોખા મેળાનો આનંદ માણ્યો હતો. આદિવાસીઓ પારંપારિક વેશભૂષામાં સજ્જ થઈને વાંસળી, દદુળી, મોટલા ઢોલ (રામ ઢોલ) અને ઘૂઘરાના તાલે નાચગાન કરતા જોવા મળ્યા હતા. આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને નજીકથી નિહાળવા માટે વિદેશી પર્યટકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મેળાનું મુખ્ય આકર્ષણ ધગધગતા અંગારા પર ચાલવાની પરંપરા હતી. આદિવાસી સમુદાયના લોકો વર્ષ દરમિયાન માનેલી માનતાઓ પૂરી થતાં, પોતાની શ્રદ્ધા અનુસાર આ અંગારા પર ચાલીને માનતા પૂરી કરતા હોય છે. આ દ્રશ્ય જોવા માટે મોટી ભીડ ઉમટી હતી. આમ, છોટા ઉદેપુર જિલ્લામાં આદિવાસી સમુદાય દ્વારા હોળીના તહેવારની ઉજવણી હર્ષોલ્લાસ અને પારંપારિક ઉત્સાહ સાથે કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 7:49 pm

સાબરમતી નદીમાં ચાર યુવકોના ડૂબી જવાથી મોત:ધૂળેટીના પર્વે કુબેરનગરના યુવકો નદીમાં નાહવા પડ્યા, ફાયર વિભાગને ચારેયના મૃતદેહ બહાર કાઢ્યા

અમદાવાદની સાબરમતી નદીમાં કુબેરનગર વિસ્તારના ચાર યુવકોના ડૂબી જવાથી મોત થયા છે. આજે 4 માર્ચના રોજ ધૂળેટીનો તહેવાર હોવાથી ચારેય યુવકો નદીમાં નાહવા માટે પડ્યા હતા, ત્યારે તેઓ ડૂબી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટનાસ્થળ ઉપર દોડી ગઈ હતી. જોકે, ફાયર વિભાગને ત્રણ યુવકો ડૂબ્યા હોવાનો મેસેજ મળ્યો હતો, પરંતુ ચાર યુવકોની લાશ મળી આવી હતી. જે મામલે પોલીસને જાણ કરવામાં આવાત રિવરફ્રન્ટ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 7:46 pm

નવસારીના ધુળેટી ઉત્સવમાં યુવકો વચ્ચે મારામારી:બી.આર. ફાર્મના 'રંગ મેન્યા' કાર્યક્રમ 10 મિનિટ રોકાયો

નવસારી જિલ્લામાં ધુળેટી પર્વની ઉજવણી દરમિયાન અફરાતફરીના દ્રશ્યો સામે આવ્યા છે. શહેરના જાણીતા બી.આર. ફાર્મ ખાતે આયોજિત 'રંગ મેન્યા રંગોત્સવ'માં યુવાનોના બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. આ ઘટનાને કારણે કાર્યક્રમ થોડા સમય માટે રોકવો પડ્યો હતો. મળતી માહિતી મુજબ, બી.આર. ફાર્મમાં મોટી સંખ્યામાં યુવાનો ધુળેટીની ઉજવણી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક કોઈ અગમ્ય કારણોસર યુવાનો વચ્ચે ગેરસમજ ઊભી થઈ. જોતજોતામાં વાત વણસી અને એક યુવાન પર અન્ય યુવાનોનું ટોળું તૂટી પડ્યું હતું. આ મારામારીના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં યુવકો છૂટા હાથની મારામારી કરતા જોવા મળે છે. મારામારીના દ્રશ્યો સર્જાતા કાર્યક્રમમાં હાજર લોકોમાં ભય ફેલાયો હતો. સ્થિતિને કાબૂમાં લેવા માટે આયોજકોએ તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો. આ હોબાળાને કારણે અંદાજે 10 મિનિટ સુધી કાર્યક્રમ રોકી દેવામાં આવ્યો હતો. જોકે, ત્યારબાદ મામલો શાંત પડતા રંગોત્સવ ફરી શરૂ કરવામાં આવ્યો. આ ઘટના અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી કે યુવાનો વચ્ચે ઝઘડો શા માટે થયો. આયોજકો દ્વારા ઝઘડો કરનાર યુવાનોને ફાર્મની બહાર કાઢી મામલો થાળે પાડવાનો પ્રયાસ કરાયો હતો. નોંધનીય છે કે, આ માથાકૂટ અંગે હજુ સુધી કોઈ પણ પક્ષે પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવી નથી. આ મામલે આયોજક કલ્પેશ માહેશ્વરીએ જણાવ્યું હતું કે, મારામારી કયા કારણોસર થઈ તે જાણી શકાયું નથી. જોકે, તેમણે ટોળાને બહાર કાઢીને સમજાવ્યા હતા અને ધુળેટી રમવા આવેલા અન્ય લોકોને ખલેલ ન પહોંચે તેનું ધ્યાન રાખ્યું હતું.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 7:35 pm

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી 6 માર્ચે:ડબલ ગ્રેજ્યુએટ વકીલો મતદાન કરશે, અમદાવાદમાં હાઈકોર્ટ અને યુનિવર્સિટી ખાતે મતદાન મથકો

ગુજરાતના વકીલો માટે મહત્વપૂર્ણ ગણાતી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી 6 માર્ચે યોજાવાની છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત રાજ્યના વકીલોની માતૃ સંસ્થા તરીકે કાર્ય કરે છે અને વકીલ વ્યવસાયના મહત્વપૂર્ણ નિર્ણયો પર સીધી અસર કરે છે. આ વખતે ચૂંટણીમાં કુલ 99 ઉમેદવારો મેદાનમાં છે. 76 હજારથી વધુ નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યના વિવિધ જિલ્લાઓ અને બાર એસોસિએશનોમાં ચૂંટણીને લઈને પ્રચુર ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર રાજ્યના વકીલોમાં ઉત્સાહનો માહોલઆ ચૂંટણીમાં જે.જે.પટેલ સહિતના અનેક જાણીતા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવાર જે.જે.પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યના વકીલોમાં ઉત્સાહનો માહોલ છે. તેમણે દાવો કર્યો કે તેમણે રાજ્યના તમામ બાર એસોસિએશનોની મુલાકાત લીધી છે અને વકીલોમાંથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. 'જે કામ કરશે તેને મત મળશે'જે.જે.પટેલના જણાવ્યા મુજબ, આ વખતે રાજ્યના વકીલોએ મન બનાવી લીધું છે કે “જે કામ કરશે તેને મત મળશે.” તેમના શબ્દોમાં, વકીલ સમાજ હવે કાર્ય આધારિત નેતૃત્વ તરફ આગળ વધી રહ્યો છે અને આ ચૂંટણી ઐતિહાસિક પરિણામ આપી શકે છે. 11 હજાર નવા યુવા વકીલો મહત્વની ભૂમિકા ભજવશેરાજ્યમાં તાજેતરમાં નોંધાયેલા અંદાજે 11 હજાર નવા યુવા વકીલો પણ આ ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવશે. યુવા વકીલોમાં આધુનિકતા, પારદર્શિતા અને ટેકનોલોજી આધારિત વ્યવસ્થાની માંગ વધી રહી છે. ડિજિટલ ઈન્ડિયા અભિયાનની દિશામાં બાર કાઉન્સિલ અને બાર એસોસિએશનોને વધુ આધુનિક અને ટેકનોલોજીથી સજ્જ બનાવવાનો મુદ્દો પણ ચર્ચાના કેન્દ્રમાં છે. વકીલો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નવી ટીમ પસંદ કરશેબાર કાઉન્સિલ ઓફ ગુજરાત માત્ર ચૂંટણી પ્રક્રિયા પૂરતી સીમિત નથી. તે વકીલોની નોંધણી, શિસ્ત, હિતરક્ષા અને કાનૂની વ્યવસાયના સંચાલન જેવી અગત્યની જવાબદારીઓ નિભાવે છે. તેથી આ ચૂંટણીનું પરિણામ આગામી 5 વર્ષ માટે વકીલ સમાજની દિશા અને પ્રાથમિકતાઓ નક્કી કરશે. હવે સૌની નજર 6 માર્ચ પર ટકેલી છે, જ્યારે હજારો વકીલો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને નવી ટીમ પસંદ કરશે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 6:59 pm

ધુળેટીનો ઉત્સવ માતમમાં ફેરવાયો:સુજલામ સુફલામ કેનાલમાં નહાવા પડેલા 4 પૈકી 2 યુવાનોના ડૂબી જવાથી મોત; મૃતકના પરિવારોમાં ભારે શોકની લાગણી

મહેસાણા જિલ્લામાં ધુળેટીના પર્વ પર એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મોટીદઉ ગામ પાસેથી પસાર થતી સુજલામ સુફલામ કાચી કેનાલમાં નાહવા પડેલા ચાર યુવાનો પૈકી બે યુવાનોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. જ્યારે અન્ય બે મિત્રોનો આબાદ બચાવ થયો છે. આ દુર્ઘટનાને પગલે ભાડુ ગામમાં અને મૃતક પરિવારોમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. અચાનક ચારેય યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતામહેસાણા તાલુકાના ભાડુ ગામના ચાર યુવકો ધુળેટી રમીને બપોરે આશરે 1 વાગ્યાના સુમારે મોટીદઉ પાસે આવેલી સુજલામ સુફલામ કાચી કેનાલમાં નાહવા માટે ગયા હતા. નહાતી વખતે અચાનક ચારેય યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા.આસપાસના લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. જેમાં બે યુવકોને હેમખેમ બહાર કાઢી લેવામાં સફળતા મળી હતી, પરંતુ અન્ય બે યુવકો પાણીમાં લાપતા થયા હતા. કલાકોના સર્ચ ઓપરેશન બાદ બંને યુવકોના મૃતદેહ મળી આવ્યાઘટનાની જાણ થતા જ મહેસાણા ગ્રામ્ય મામલતદારની ટીમ અને મહેસાણા ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તરવૈયાઓ દ્વારા હાથ ધરવામાં આવેલા કલાકોના સર્ચ ઓપરેશન બાદ બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતકોની ઓળખ 14 વર્ષીય જયરાજ પોપટજી ઠાકોર અને 23 વર્ષીય વિજયજી વિનુજી ઠાકોર (બંને રહે. રેલવેપુરા, ભાડુ) તરીકે થઈ છે. બે આશાસ્પદ યુવાનોના મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટીબંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ મામલે મહેસાણા તાલુકા પોલીસે અકસ્માતે મોતના ગુના સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે. તહેવારના દિવસે જ ગામના બે આશાસ્પદ યુવાનોના મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 6:58 pm

ઢોકળવા મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો:બે આરોપી ઝડપાયા, ₹1.79 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ આણંદપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ઢોકળવા ગામે થયેલી મંદિર ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ચોરીમાં ગયેલા ચાંદીના દાગીના અને અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹1,79,000ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) એ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા તેમજ ઘરફોડ, વાહન અને મંદિર ચોરીના અનડિટેક્ટેડ ગુનાઓને ઉકેલવા માટે LCB પોલીસ ઇન્સ્પેક્ટરને સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, LCB પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્ક્વોડના I/C પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમાએ અલગ અલગ ટીમો બનાવી હતી. ચોક્કસ બાતમીના આધારે, LCB ટીમે ચોરીમાં સંડોવાયેલા બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલા ચાંદીના દાગીના, એક અલ્ટો ગાડી અને એક મોબાઇલ ફોન સહિત કુલ ₹1,79,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. કબજે કરાયેલા મુદ્દામાલમાં ₹69,000ની કિંમતની પાંચ ચાંદીની હાસડી (કામ્બી), ₹1,00,000ની કિંમતની એક અલ્ટો ગાડી અને ₹10,000ની કિંમતનો એક મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓમાં જસદણના સરધાર, સુકી સાજળીયાળી રોડ પરના સરકારી આવાસમાં રહેતા નવઘણભાઈ હરીભાઈ ડાભી અને એક મહિલાનો સમાવેશ થાય છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ માટે આરોપીઓને આણંદપુર પોલીસ સ્ટેશનને સોંપી દીધા છે. આ કામગીરીમાં LCB સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટરની રાહબરી હેઠળ PSI જે.વાય. પઠાણ, I/C PSI એન.એ. રાયમા, હેડ કોન્સ્ટેબલ દેવરાજભાઈ જોગરાજીયા, કોન્સ્ટેબલ વજાભાઈ સાનીયા, ગીરીરાજસિંહ જાડેજા અને મેહુલભાઈ મકવાણા સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 6:40 pm

પોર્ટુગલના બોગસ પાસપોર્ટ પર ભારત આવેલા અમરેલીના શખ્સની ધરપકડ:નામ બદલી ‘કલ્પેશકુમાર’ બન્યો હતો, ઈમિગ્રેશન અધિકારીઓની તપાસમાં ભાંડો ફૂટ્યો

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી એકવાર ડોક્યુમેન્ટ ફ્રોડનો મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોર્ટુગલની નકલી નાગરિકતા અને બોગસ પાસપોર્ટના આધારે ભારત આવેલા અમરેલીના એક શખ્સને ડુમસ પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપીએ વિદેશમાં સેટલ થવા માટે પોતાની ઓળખ બદલી 'કાલ્પેશકુમાર' નામે દસ્તાવેજો બનાવ્યા હતા, પરંતુ ઈમિગ્રેશન અધિકારીઓની તપાસમાં તેનો ભાંડો ફૂટી ગયો હતો. ઓળખ બદલીને વિદેશમાં સેટલ થવાનું મોટું કૌભાંડમૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કમી કેરાળા ગામના વતની અને હાલ સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા 49 વર્ષીય ભાવેશભાઈ ધીરુભાઈ બોરડની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે, ભાવેશભાઈએ પોર્ટુગલ જવા માટે અને ત્યાંની નાગરિકતા મેળવવા માટે 'બામણિયા કલ્પેશકુમાર રતિલાલ' (BAMANIA KALPESHKUMAR RATILAL) તરીકેનું ખોટું નામ ધારણ કર્યું હતું. આ માટે તેણે બોગસ દસ્તાવેજો અને કિંમતી જામીનગીરીઓ પણ ઊભી કરી હતી. કેવી રીતે ફૂટ્યો ભાંડો? એરપોર્ટ પર તપાસ દરમિયાન સતર્કતાઘટનાની વિગત મુજબ, આરોપી ગત તારીખ 2 માર્ચ, 2026 પહેલા કોઈપણ સમયે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના ફર્સ્ટ ફ્લોર પર આવેલા ઇન્ટરનેશનલ અરાઈવલ એરિયામાં પહોંચ્યો હતો. અહીં ઈમિગ્રેશન ઓફિસ ખાતે જ્યારે તેના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી, ત્યારે અધિકારીઓને શંકા ગઈ હતી. સઘન તપાસ દરમિયાન માલૂમ પડ્યું કે તેણે પોર્ટુગલની સરકારની કચેરીઓમાં બોગસ દસ્તાવેજો રજૂ કરી ત્યાંની નાગરિકતા મેળવી લીધી હતી અને તેના આધારે મેળવેલ પાસપોર્ટ સંપૂર્ણપણે ગેરકાયદેસર હતો. નવી ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ગુનો દાખલદુમસ પોલીસ સ્ટેશનમાં આ મામલે ભારતીય ન્યાય સંહિતા 2023 (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજો બનાવવા બદલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 'ધી પાસપોર્ટ એક્ટ, 1967' ની કલમ 12(1)(બી) મુજબ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ નવા કાયદા હેઠળ સુરત પોલીસ દ્વારા કરવામાં આવેલી આ એક મહત્વની કાર્યવાહી ગણાય છે. ઈ-ટુરિસ્ટ વિઝાનો સહારો લઈ ભારતમાં પ્રવેશ્યોઆરોપી ભાવેશભાઈએ માત્ર પાસપોર્ટ જ નહીં, પણ ભારતમાં પ્રવેશવા માટે વિઝા મેળવવામાં પણ છેતરપિંડી કરી હતી. તેણે કાલ્પેશકુમાર બામણિયાના નામે ઈ-ટુરિસ્ટ વિઝા એપ્લિકેશન (નં. I001V5C3A025) કરી હતી અને વિઝા મેળવ્યા હતા. આ નકલી ઓળખ સાથે તેણે મુંબઈ અને સુરત એરપોર્ટનો ઉપયોગ કરી ભારતની સુરક્ષા એજન્સીઓને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો. બોગસ દસ્તાવેજ બનાવવામાં કોણે મદદ કરી તે દિશામાં તપાસ હાથ ધરાશેઆ સમગ્ર કૌભાંડ બાબતે સુંદરાગીરી ચંદનગીરી નામના અધિકારીએ ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદના આધારે ડુમસ પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપીને આ બોગસ દસ્તાવેજો બનાવવામાં કોણે મદદ કરી હતી અને આ પાછળ કોઈ મોટું એજન્ટોનું નેટવર્ક કાર્યરત છે કે કેમ. આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવીસુરત પોલીસ કમિશનરની સૂચના મુજબ, એરપોર્ટ પર સુરક્ષા અને દસ્તાવેજોની ચકાસણી સઘન બનાવવામાં આવી છે. આ કેસમાં પકડાયેલા ભાવેશ બોરડ પાસેથી અનેક ચોંકાવનારી વિગતો મળવાની શક્યતા છે. ખાસ કરીને પોર્ટુગલ જેવા દેશના દસ્તાવેજો ગુજરાતમાં બેસીને કેવી રીતે મેનેજ થયા તે તપાસનો વિષય છે. હાલમાં આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 6:25 pm

પોલીસકર્મીઓએ ફરજ સાથે ધુળેટીની ઉજવણી કરી:SP રાહુલ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ રંગોમાં ભીંજાયા

પોલીસ વિભાગે આ વર્ષે ફરજની સાથે ધુળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી. સામાન્ય નાગરિકો શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવી શકે તે માટે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં વ્યસ્ત રહેતા પોલીસકર્મીઓએ પણ રંગોનો ઉત્સવ માણ્યો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક (SP) રાહુલ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ અને જવાનો આ ઉજવણીમાં જોડાયા હતા. પોલીસ બેડામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલની આગેવાનીમાં DYSP સંજય રાય, PI વિરાજ જાડેજા અને PI કોરાટ સહિતના અધિકારીઓએ એકબીજાને રંગ લગાવી ધુળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ગીત-સંગીત અને રંગો સાથે પોલીસકર્મીઓએ મન મૂકીને ધુળેટીની મજા માણી હતી. વર્ષના મોટાભાગના તહેવારોમાં પોલીસ કાફલો સતત બંદોબસ્તમાં વ્યસ્ત રહે છે, જેના કારણે તેઓ ઘણીવાર પોતાના પરિવાર કે સાથીદારો સાથે તહેવાર ઉજવી શકતા નથી. તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ અને ચેકિંગમાં પણ વ્યસ્ત હોય છે. આ કઠિન ડ્યુટી વચ્ચે થોડો સમય કાઢીને કરાયેલી આ ઉજવણીથી પોલીસ કર્મચારીઓમાં માનસિક હળવાશ અને ટીમ ભાવના મજબૂત થઈ હતી. ઉચ્ચ અધિકારીઓની હાજરીએ નાના કર્મચારીઓમાં પણ ઉત્સાહનો સંચાર કર્યો હતો. પોલીસ કર્મચારીઓએ જણાવ્યું હતું કે, જનતાની સુરક્ષા તેમની પ્રાથમિકતા છે, પરંતુ આવા અવસરો પર સાથી કર્મચારીઓ સાથે તહેવાર ઉજવવાથી કામનું દબાણ હળવું થાય છે અને નવી ઉર્જા મળે છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 6:18 pm

આણંદ-કરમસદ મનપાએ કાર્યવાહી કરી:ગંદકી અને દબાણ બદલ બે ખાણી-પીણી એકમો સીલ, સામાન જપ્ત

આણંદ-કરમસદ મહાનગરપાલિકાએ જાહેર આરોગ્યના હિતમાં કડક કાર્યવાહી કરી છે. કમિશનરની સૂચનાથી આરોગ્ય અને એસ્ટેટ વિભાગની ટીમે મહેન્દ્ર શાહ હોસ્પિટલથી ગુજરાતી ચોક તરફના માર્ગ પર આવેલી બે ખાણી-પીણીની દુકાનોને સીલ કરી દીધી છે. આ કાર્યવાહી ગંદકી અને રસ્તા પર દબાણ કરવા બદલ કરવામાં આવી છે. તપાસ દરમિયાન 'આશિષ ચાઇનીઝ કિંગ' અને 'અલ-હબીબી ફાસ્ટ ફૂડ હબ' નામના એકમોમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. આ ઉપરાંત, આ દુકાનદારો દ્વારા જાહેર રસ્તા પર ખાદ્ય પદાર્થો બનાવીને દબાણ કરવામાં આવ્યું હતું, જે રાહદારીઓ માટે અવરોધરૂપ બનતું હતું. મનપાની ટીમે આ એકમોમાં ભયંકર ગંદકી અને સ્વચ્છતાના નિયમોનું સદંતર ઉલ્લંઘન થતું હોવાનું નોંધ્યું હતું. લોકોના સ્વાસ્થ્યને નુકસાન થવાની સંભાવનાને પગલે, તંત્રએ તાત્કાલિક અસરથી બંને દુકાનોને સીલ કરી દીધી હતી. રસ્તા પર મુકાયેલો તમામ સામાન પણ કબજે લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકાએ શહેરના તમામ હોટલ અને દુકાન માલિકોને સ્વચ્છતા જાળવવા અને દબાણ ન કરવા અંગે સ્પષ્ટ ચેતવણી આપી છે. જો ભવિષ્યમાં કોઈ ખાદ્ય એકમ આવા નિયમોનું ઉલ્લંઘન કરશે, તો તેમની સામે પણ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહીથી અન્ય બેદરકાર વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 6:17 pm

રાજકોટ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટનો ચૂકાદો:પિતાની હત્યા કેસમાં પુત્રને 5 વર્ષની સખત કેદ અને રૂપિયા 5,000નો દંડ, 21 દસ્તાવેજી પુરાવા અને 13 સાક્ષીની જુબાની કોર્ટ સમક્ષ લેવામાં આવી

રાજકોટ શહેરના હિંગળાજ નગર આવાસ યોજનામાં બનેલી પિતાની હત્યાની કરુણ ઘટનામાં રાજકોટની પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા આરોપી પુત્રને પાંચ વર્ષની સખત કેદની સજા તેમજ રૂપિયા 5000નો દંડ ફટકારવામાં આવ્યો છે અને જો દંડની રકમ ભરપાઈ ન કરે તો વધુ એક મહિનાની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં 21 દસ્તાવેજી પુરાવા અને 13 સાક્ષીની જુબાની કોર્ટ સમક્ષ લેવામાં આવી હતી જેને માન્ય ગણી કોર્ટે આરોપીને દોષિત જાહેર કરી સજા ફટકારી છે. પુત્ર વારંવાર પિતા પાસે પૈસાની માંગણી કરી ઝઘડો કરતો રાજકોટમાં હિંગળાજ નગર આવાસ યોજનાના ક્વાર્ટર નં. અ-502માં રહેતી મનિષાબેન વજુભાઈ ચોટલીયાએ પોતાના દીકરા રવિ વજુભાઈ ચોટલીયા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ પોલીસ ફરિયાદમાં આરોપી પુત્ર વારંવાર તેના પિતા વજુભાઈ ભાણજીભાઈ ચોટલીયા પાસે પૈસાની માંગણી કરી ઝઘડો કરતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને બનાવના દિવસે પણ પૈસા માંગવા બાબતે ઉગ્ર બોલાચાલી થઇ હતી જેથી આરોપી પુત્ર એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને પિતાને ઢીંકા-પાટુ વડે માર મારી માથું દીવાલ સાથે જોરથી ભટકાડયું હતું. ઉપરાંત મોઢા પર આડેધડ પાટા વડે હુમલો પણ કરવામાં આવ્યો હતો જેથી ગંભીર હોવાથી વજુભાઈ બેભાન થઈ ગયા હતા. આ બનાવનો અવાજ સાંભળી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને તાત્કાલીક 108 મારફત ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસી વજુભાઈને મૃત જાહેર કર્યા હતા. સરકાર પક્ષે કુલ 21 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. આ કેસમાં આરોપી સામે આઈપીસી કલમ 302 અને 201 હેઠળ ગુનો નોંધી કેસ ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો હતો. સરકાર પક્ષે કુલ 21 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. સાથે ફરિયાદી, પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટર, જુદા જુદા પંચ સાક્ષીઓ તેમજ સમગ્ર તપાસ કરનાર તપાસનીશ અધિકારી સહિત કુલ 13 સાક્ષીઓની જુબાની કોર્ટ સમક્ષ લેવામાં આવી હતી. કેસ પૂર્ણ થતા સરકાર તરફેથી સરકારી વકીલ કમલેશ ડોડીયાએ આરોપીને કડક સજા થાય તે માટે દલીલો કરી હતી.આરોપી પુત્રને પાંચ વર્ષની સખત કેદની સજા તથા રૂ.5000નો દંડ ફટકાર્યો દસ્તાવેજી પુરાવા, સાક્ષીઓની જુબાની અને સરકારી વકીલની દલીલોને માન્ય રાખી કોર્ટએ આરોપીને દોષિત ઠરાવ્યો હતો. રાજકોટની પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના ન્યાયાધીશ જે.આર.શાહે આરોપી રવિ વજુભાઈ ચોટલીયાને પાંચ વર્ષની સખત કેદની સજા તથા રૂ.5000નો દંડ ફટકાર્યો છે. અને દંડની રકમ ન ભરે તો વધુ એક મહિનાની સજા ભોગવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ કમલેશ ડોડીયા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી, જ્યારે સહાયક તરીકે ઉર્વી આચાર્ય રોકાયેલા હતા.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 6:14 pm

મોરબીમાં બે કારખાનામાં વૃદ્ધ-યુવાનના મોત:પથારીવશ વૃદ્ધ, યુવાનને પેટમાં દુખાવાથી મૃત્યુ

મોરબી નજીક આવેલા બે જુદા જુદા કારખાનામાં અપમૃત્યુના બે બનાવ સામે આવ્યા છે. જેમાં એક વૃદ્ધ અને એક યુવાનનું મોત નીપજ્યું છે. પોલીસે બંને ઘટનાઓની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રથમ બનાવ મોરબી-રાજકોટ હાઈવે રોડ પર આવેલા અજંતા કારખાનાના લેબર ક્વાર્ટરમાં બન્યો હતો. અહીં રહેતા નરેશભાઈ વેરશીભાઈ દધુકિયા (60) નામના વૃદ્ધનું ગઈકાલે કોઈ કારણોસર મોત થયું હતું. મળતી માહિતી મુજબ, નરેશભાઈને 19 વર્ષ પહેલાં અકસ્માત થયો હતો, જેના કારણે તેઓ પથારીવશ હતા. તેમના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજો બનાવ મોરબીના જેતપર રોડ પર પાવડીયારી નજીક આવેલા અલાસ્કા કારખાનાના ક્વાર્ટરમાં બન્યો હતો. અહીં રહેતા ઉમેશભાઈ બાબુભાઈ (39) નામના યુવાનને કારખાનામાં અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો હતો. પેટમાં દુખાવો થતાં મહેન્દ્રભાઈ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ યુવાનનું રસ્તામાં મોત નીપજ્યું હતું. હોસ્પિટલ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને આ બનાવની જાણ કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 6:13 pm

BR ફાર્મમાં 4 હજારથી વધુ યુવાનો ડીજેના તાલે ઝૂમ્યા:નવસારીમાં રેઈન ડાન્સ અને સંગીતના સંગમે ધુળેટીની ઉજવણી

નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ધુળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નવસારીના સુપ્રસિદ્ધ BR ફાર્મ ખાતે આયોજિત ધુળેટી મહોત્સવમાં 4 હજારથી વધુ યુવાનો ઉમટી પડ્યા હતા. તેમણે ડીજેના તાલે રંગોત્સવની ઉજવણી કરી હતી. BR ફાર્મમાં છેલ્લા ત્રણ વર્ષથી ધુળેટીની વિશેષ ઉજવણી થાય છે. આ વર્ષે પણ અંદાજે 3 થી 4 હજાર યુવક-યુવતીઓ આ ઉજવણીમાં જોડાયા હતા. લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતો અને ડીજેના તાલે યુવાનો ઝૂમી ઉઠ્યા હતા. રેઈન ડાન્સ યુવાનો માટે મુખ્ય આકર્ષણ રહ્યું હતું, જ્યાં પાણીના ફુવારા નીચે ભીંજાઈને તેમણે ધુળેટીની મજા માણી હતી. આ ઉજવણીમાં રાજકીય આગેવાનો પણ જોડાયા હતા. નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ યુવાનોના ઉત્સાહમાં સહભાગી થઈ ડીજેના તાલે નૃત્ય કર્યું હતું. હજારોની મેદની હોવા છતાં BR ફાર્મ ખાતેનું આયોજન શિસ્તબદ્ધ રીતે કરવામાં આવ્યું હતું. યુવાનોએ એકબીજાને ગુલાલ લગાવીને ભાઈચારાના આ પર્વની ઉજવણી કરી હતી. રેઈન ડાન્સ અને સંગીતના સંગમે ધુળેટીની ઉજવણીને વધુ યાદગાર બનાવી હતી.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 6:05 pm

તળાજાની નિલકંઠ ગુરુકુલમના દેવ રાઠોડ 'ઇન્સ્પાયર માનક એવોર્ડ' માટે પસંદગી.:તેનો પ્રયોગ 'ઝાંખા પ્રકાશમાં કામ કરતી સ્માર્ટ અને ઓટોમેટિક ટોર્ચ'

ભાવનગર જિલ્લાના તળાજા સ્થિત નિલકંઠ ગુરુકુલમ્ ના ધોરણ-10ના વિદ્યાર્થી રાઠોડ દેવ પ્રકાશકુમારની 'ઇન્સ્પાયર માનક એવોર્ડ' માટે પસંદગી કરવામાં આવી છે. દેવ રાઠોડના 'ઝાંખા પ્રકાશમાં કામ કરતી સ્માર્ટ અને ઓટોમેટિક ટોર્ચ' નામના વિજ્ઞાન પ્રયોગને આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે પસંદ કરાયો છે, જે તળાજા પંથક માટે ગૌરવની વાત છે. વિદ્યાર્થી દેવ રાઠોડે જણાવ્યું કે આ પ્રયોગ આજના પ્રદૂષિત વિશ્વની એક મોટી સમસ્યાનું નિરાકરણ લાવે છે. મોટા શહેરોમાં ધુમ્મસ અથવા શિયાળામાં વાહનચાલકોને આગળનું દ્રશ્ય સ્પષ્ટ દેખાતું નથી, જેના કારણે અકસ્માતોનું જોખમ વધે છે.આ સમસ્યાના નિવારણ માટે, તેણે એક એવી ઓટોમેટિક લાઇટની શોધ કરી છે જે ઝાંખા પ્રકાશ કે ધુમ્મસ હોય ત્યારે આપમેળે ચાલુ થઈ જાય છે. આ સ્માર્ટ ટોર્ચ ધુમ્મસ અને ઓછા પ્રકાશમાં પણ અસરકારક રીતે કાર્ય કરીને વાહનચાલકોને મદદરૂપ થશે. રાઠોડ દેવની પસંદગી વર્ષ ૨૦૨૫-૨૬ના 'ઇન્સ્પાયર માનક એવોર્ડ' માટે થઈ છે, જેમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. નોંધનીય છે કે નિલકંઠ ગુરુકુલમ્ ના વિદ્યાર્થીની સતત બીજા વર્ષે આ એવોર્ડ માટે પસંદગી થઈ છે, જે સંસ્થા માટે એક મોટી સિદ્ધિ છે. આ વર્ષે તળાજા તાલુકામાંથી કુલ ત્રણ શાળાના વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા છે, જેમાં નિલકંઠ ગુરુકુલમ્ ના વિદ્યાર્થીનો પણ સમાવેશ થાય છે.આ વિશિષ્ટ સિદ્ધિ બદલ રાઠોડ દેવે તળાજા તાલુકા અને ભાવનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. શાળાના આચાર્ય, ટ્રસ્ટીઓ ભરતસિંહ મોરી, વિપુલસિંહ પરમાર, બળદેવસિંહ ચુડાસમા, યશપાલસિંહ વનાર, સંચાલકો, શિક્ષકો અને સ્ટાફગણ સહિત નિલકંઠ ગુરુકુલમ્ પરિવારે વિદ્યાર્થી દેવ રાઠોડ અને તેના માર્ગદર્શક જીવ વિજ્ઞાન શિક્ષક સંજયસિંહ કે. સરવૈયાને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 6:03 pm

વડોદરામાં ધૂળેટી પર્વની ઉલ્લાસભેર ઉજવણી:રંગ-ગુલાલ, ડીજેના તાલ અને યુવાનોની મસ્તીથી માહોલ રંગીન બન્યો, સોસાયટીથી લઈને ફાર્મ હાઉસમાં યુવાઓએ ખૂબ ડાન્સ કર્યો

આ વર્ષે વડોદરા શહેરમાં ધૂળેટી પર્વની ખૂબ જ જોરશોરથી ઉજવણી કરવામાં આવી. આખા શહેરમાં રંગ-ગુલાલ, ડીજેના તાલ, ઢોલના ધમાકા અને યુવાનોની મસ્તીથી માહોલ રંગીન બની ગયો હતો. લોકો સવારથી જ ઘરેથી નીકળીને પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ અને રિસોર્ટમાં પહોંચી ગયા હતા. શહેરભરમાં રંગો અને સંગીત સાથે ધૂળેટીનો માહોલવડોદરા શહેરના દરેક ખૂણે રંગો ઉડતા જોવા મળ્યા હતા. યુવાનો-યુવતીઓએ એકબીજા પર ગુલાલ અને કલર લગાવીને મજા માણી. ઢોલ-નગારા અને ડીજેના બીટ પર બધા ઝૂમી ઉઠ્યા. રેન ડાન્સ, મડ પૂલ અને વોટર પાર્ક જેવી વિશેષ વ્યવસ્થા સાથેના કાર્યક્રમોમાં ભીડ ખૂબ જ હતી. બ્લિસ ફાર્મ, વાટિકા ગ્રીન રિસોર્ટ, ફુલ દ્વાર, આરુશ લોન્સ, ડ્રીમસિટી જેવા સ્થળોએ મોટા-મોટા ઇવેન્ટ યોજાયા, જ્યાં લાઈવ ડીજે, ઢોલ, અનલિમિટેડ ફૂડ અને થંડાઈની વ્યવસ્થા હતી. અલગ અલગ પાર્ટી પ્લોટ પર યુવાનોનો ભારે જમાવડોવડોદરા શહેરના ભાયલી અને સેવાસી સહિતના વિસ્તારોમાં પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસ પર યુવાનોની ભીડ ઉમટી પડી હતી. વિવિધ ઇવેન્ટમાં ઓર્ગેનિક કલર, ફૂલોની હોળી અને પૂલ પાર્ટી જેવી ખાસ વસ્તુઓએ લોકોને આકર્ષ્યા હતા. બધા જ સેલ્ફી, રીલ્સ બનાવવામાં વ્યસ્ત થઈ ગયા હતા. ખાસ કરીને યુવાનોમાં આ બાબતે ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો. વાઘેશ્વરી ફાર્મ ખાતે ધૂળેટીનો ખાસ કાર્યક્રમઅહીં DJના તાલે યુવાનો ઝૂમ્યા હતા, રંગો સાથે મસ્તી કરી હતી. એકબીજાને કલર લગાવીને, ડાન્સ કરીને બધાએ ધમાલ મચાવી દીધી હતી. પાર્ટી પ્લોટ પર ખાણી-પીણીની વિશેષ વ્યવસ્થા હતી. અનલિમિટેડ બ્રેકફાસ્ટ, લંચ, સ્નેક્સ, થંડાઈ અને વેજ ફૂડના સ્ટોલ્સ ખૂબ ચાલ્યા હતા. સુરક્ષા માટે અલગથી સિક્યોરિટી અને પાર્કિંગની વ્યવસ્થા પણ સારી હતી, જેથી કોઈને મુશ્કેલી ન પડી. સવારથી જ ધૂળેટીના કાર્યક્રમોમાં લોકોમાં ભારે ઉત્સાહલોકો સવારના 9-10 વાગ્યાથી જ લોકો નીકળી પડ્યા હતા. શહેર પોલીસે પણ સુરક્ષા માટે ખાસ બંદોબસ્ત કર્યો હતો – ફૂટ પેટ્રોલિંગ, ડ્રોન સર્વેલન્સ અને જાહેરમાં કેમિકલ કલર ઉડાડવા પર પ્રતિબંધનું જાહેરનામું પણ બહાર પાડ્યું હતું. ઘણા લોકોએ ઇકો-ફ્રેન્ડલી કલર અને ફૂલોનો ઉપયોગ કર્યો હતો. વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા હોળી પર્વનું આયોજન કરાયુંપોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ રંગોના પર્વને ઉજવતા નજરે પડ્યા હતા. તેમણે પોલીસ પરિવાર સાથે ખાસ કાર્યક્રમ યોજ્યો હતો, જ્યાં ઇકો-ફ્રેન્ડલી કલર અને ફૂલોથી હોળી રમાઈ હતી. અધિકારીઓ હળવાશ સાથે ડાન્સ-મસ્તીમાં પણ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 6:01 pm

રાજપુરમાં ધુળેટી પર્વે હાથિયાની પરંપરા:શણગારેલા ટ્રેક્ટરમાં 'હાથિયા' કાઢવામાં આવ્યાં, સમગ્ર ગામ પ્રદક્ષિણામાં ઉમટી પડ્યું

પાટણના રાજપુર ગામમાં ધુળેટી પર્વ નિમિત્તે પરંપરાગત 'હાથિયા' કાઢવામાં આવ્યા હતા. બળદોની ઘટતી સંખ્યાને કારણે છેલ્લા 15 વર્ષથી આ હાથિયા શણગારેલા ટ્રેક્ટરમાં કાઢવામાં આવે છે. આ પ્રસંગે સમગ્ર ગામ પ્રદક્ષિણામાં ઉમટી પડ્યું હતું. રાજપુર ગામમાં લેઉવા પાટીદારો, ઠાકોરો અને હરિજનો સહિત આશરે 2500ની વસ્તી છે. 460 વર્ષ પહેલાં અહીં બ્રહ્માણી માતાના મંદિરની સ્થાપના થઈ હતી. ત્યારથી દર ધુળેટીએ ગામલોકો એકત્રિત થઈને આ ધાર્મિક ઉત્સવની ઉજવણી કરે છે. ધુળેટીના દિવસે સવારે બહુચરમાતાના મંદિરમાં ગામલોકો ઉમટ્યા હતા, જ્યાં રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. બપોરે 3 વાગ્યે સમસ્ત ગામના લોકમેળાવડાની રંગત જામી હતી, ત્યારબાદ બ્રહ્માણી માતાજીનો હાથિયો નીકળ્યો હતો. આ હાથિયો પરંપરાગત રીતે બળદની ચાર જોડથી ગાડામાં નીકળતો હતો અને ગામના નાના બાળકોને બેસાડી ગામની પ્રદક્ષિણા કરાવાતી હતી. જોકે, સમય જતાં બળદોની સંખ્યા ઓછી થતાં અને તેમના અભાવને કારણે છેલ્લા 15 વર્ષથી ચાર ટ્રેક્ટરમાં હાથિયો કાઢવામાં આવે છે. સોમવારે ટ્રેક્ટર ટ્રોલીને કાષ્ટથી શણગારવામાં આવી હતી. ગામની પ્રદક્ષિણા સમયે મહિલાઓ દ્વારા હાથિયાના વધામણાં કરવામાં આવ્યા હતા. મોઢેરાના નાયક બંધુઓએ ચાચર ચોકમાં ભૂંગળ વગાડીને માતાજીની રમઝટ જમાવી હતી.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 5:45 pm

એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ખેડૂતે પોર્ટુગલની નકલી નાગરિકતાના આધારે મોટો ખેલ કર્યો, દુબઈથી 5 સુરતી હેમખેમ પરત ફરતા ભાવુક દ્રશ્યો

દિવ્ય ભાસ્કર એપ દ્વારા સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 5:45 pm

વિજાપુરમાં ગાંજાના છોડ સાથે એકની ધરપકડ:ભાવસોરની સીમમાં કોલ્ડ સ્ટોરેજની ખુલ્લી જગ્યામાં ગાંજાના છોડ વાગ્યા, મહેસાણા SOGએ રેડ પાડી ઝડપી પાડ્યો

મહેસાણા જિલ્લામાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરીની પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી કડક ઝુંબેશ અંતર્ગત મહેસાણા SOG ટીમે વિજાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. ભાવસોર ગામની સીમમાં આવેલા એક કોલ્ડ સ્ટોરેજની ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે ઉગાડવામાં આવેલા લીલા ગાંજાના 2 છોડ સાથે એક શખસને ઝડપી પાડવામાં આવ્યો છે. કોલ્ડ સ્ટોરેજની ખુલ્લી જગ્યામાં ગાંજાનું વાવેતરગાંધીનગર રેન્જ આઇજી વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચના મુજબ SOG પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ અને તપાસમાં હતો. આ દરમિયાન ASI ડાહ્યાભાઈને સચોટ બાતમી મળી હતી કે, વિજાપુરથી વલાસણા જતા રોડ પર આવેલ 'નીલકંઠ કોલ્ડ સ્ટોરેજ'ની ઓરડીમાં રહેતો રાજુજી ડાહ્યાજી ઠાકોર નામનો શખસ કોલ્ડ સ્ટોરેજની ખુલ્લી જગ્યામાં ગાંજાનું વાવેતર કરી રહ્યો છે. 3.46 લાકની કિંમતના ગાંજાના બે છોડ મળી આવ્યાબાતમીના આધારે SOGની ટીમે પંચોને સાથે રાખી સ્થળ પર દરોડો પાડતા ત્યાંથી વનસ્પતિજન્ય લીલા ગાંજાના 2 નંગ છોડ મળી આવ્યા હતા. જેનું કુલ વજન 6.990 કિલોગ્રામ અને અંદાજિત કિંમત રૂા. 3,49,500 આંકવામાં આવી છે. પોલીસે આ મુદ્દામાલ જપ્ત કરી 46 વર્ષીય આરોપી રાજુજી ડાહ્યાજી ઠાકોર (રહે. ભાવસોરની સીમ, મૂળ રહે. પરબતપુરા, તા. માણસા) ની અટકાયત કરી છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરીઆ મામલે વિજાપુર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(સી) અને 20(એ)(1) મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં એસ.ઓ.જી.ના પીએસઆઈ બી.ડી. વાઘેલા સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 5:38 pm

કારના કાચ તોડી ચોરી કરનાર રીઢો ગુનેગાર ઝડપાયો:વડોદરામાં ક્રેટા કારનો કાચ તોડી સોનાની ચેઈન, 3000 ડોલર સહિત દોઢ લાખની કિંમતી વસ્તુઓની ચોરી કરી હતી, અમદાવાદ-વડોદરાના 15થી વધુ ગુનાનો ભેદ ઉકેલાયો

વડોદરા શહેરના તરસાલી બાયપાસ પાસે પાર્ક કરેલી કારના કાચ તોડી કિંમતી સામાન ભરેલી બેગોની ચોરી કરનાર નાસતા ફરતા રીઢા આરોપીને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી અગાઉ વડોદરા અને અમદાવાદમાં અનેક ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે. શું હતી સમગ્ર ઘટના? ગત તારીખ 11/12/2025 ના રોજ રાત્રિના સમયે તરસાલી બાયપાસ પાસે આવેલા એક ફાર્મ હાઉસ પાસે પાર્ક કરેલી ક્રેટા કારનો કાચ તોડી અજાણ્યા શખ્સોએ અંદર રાખેલી સોનાની ચેઈન, 3000 ડોલર અને કપડાં સહિત કુલ રૂપિયા 1,50,000/- ની કિંમતી વસ્તુઓ ભરેલી 6 બેગોની ચોરી કરી હતી. આ અંગે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે મોહમ્મદયાકુબ ઉર્ફે સલીમ ઉર્ફે કાજબ અહેમદહુસેન શેખ (રહે. તાંદલજા, મૂળ રહે. વાડી, વડોદરા) ને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે પોતાના સાગરીતો સાથે મળીને તરસાલી બાયપાસ પાસેની આ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપીનો ગુનાહિત ઇતિહાસ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલ આરોપી મોહમ્મદયાકુબ એક રીઢો ગુનેગાર છે. તેની સામે અગાઉ વડોદરા અને અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 15 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જેમાં કારના કાચ તોડી ચોરી કરવી અને મિલકત સંબંધી ગુનાઓનો સમાવેશ થાય છે. બાપોદ, પાણીગેટ, માંજલપુર, જે.પી. રોડ, મકરપુરા અને હરણી પોલીસ સ્ટેશનના ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત અમદાવાદના વસ્ત્રાપુર અને સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના ગુનાઓનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 5:36 pm

મહીસાગરમાં તળાવમાં ન્હાવા પડેલા ચાર યુવકોના મોત:રાઘવના મુવાડા ગામમાં તહેવારના દિવસે કરુણ ઘટના, મૃતકોમાં બે સગા ભાઈ સામેલ

મહીસાગર જિલ્લાના રાઘવના મુવાડા ગામમાં તહેવારના દિવસે જ એક હૃદયદ્રાવક ઘટના બની છે. તળાવમાં ન્હાવા પડેલા 4 યુવકોના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે. ડૂબનારમાં બે સગા ભાઈઓ પણ સામેલ છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, તહેવાર નિમિત્તે ગામના 4 યુવકો સ્થાનિક તળાવમાં સ્નાન કરવા માટે ઉતર્યા હતા. ન્હાતી વખતે તળાવના ઊંડા પાણી અને પ્રવાહનો અંદાજ ન આવતા ચારેય યુવકો એકાએક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આસપાસના લોકોએ બચાવવા માટે બૂમો પાડતા સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને તંત્રને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડનું રેસ્ક્યુ ઓપરેશનઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. કલાકોની ભારે જહેમત અને શોધખોળ બાદ ચારેય યુવકોના મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 2 દિવસમાં 5 મોતથી ચિંતામહીસાગર જિલ્લામાં જળાશયોમાં ડૂબી જવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 દિવસમાં અલગ-અલગ ડૂબવાની ઘટનાઓમાં કુલ 5 લોકોએ જીવ ગુમાવ્યા છે. તહેવારના માહોલમાં યુવાધનના અકાળે અવસાનથી અનેક પરિવારો પર આભ તૂટી પડ્યું છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને જળાશયો અને ઊંડા પાણીમાં ન ઉતરવા માટે અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 5:23 pm

અમરેલી: શેત્રુંજી નદીમાં યુવક ડૂબ્યો:ધુળેટી રમ્યા બાદ નહાવા પડ્યો હતો, ફાયરની ટીમને માત્ર મૃતદેહ હાથ લાગ્યો

અમરેલી જિલ્લામાં ધુળેટી પર્વ દરમિયાન એક દુઃખદ ઘટના બની છે. અમરેલી તાલુકાના ખંભાળિયાથી વિઠ્ઠલપુર જતા માર્ગ પર આવેલી શેત્રુંજી નદીમાં ધુળેટી રમ્યા બાદ નહાવા પડેલા એક યુવકનું ડૂબી જવાથી મોત થયું હતું. ફાયર ટીમે યુવકના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો. આ ઘટનાની જાણ અમરેલી 112 મારફતે ફાયર કંટ્રોલરૂમને કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફાયર ઓફિસર એચ.સી. ગઢવીની આગેવાની હેઠળ અમરેલી ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ટીમે પોતાની કુશળતા અને અનુભવના આધારે માત્ર 30 મિનિટમાં જ ડૂબી ગયેલા યુવકના મૃતદેહને શોધી કાઢી પાણીમાંથી બહાર કાઢ્યો હતો. મૃતક યુવકની ઓળખ સમીર મહેશ સોલંકી (ઉંમર 20 વર્ષ), રહેવાસી બહારપરા, અમરેલી તરીકે થઈ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યો હતો અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ રેસ્ક્યુ કામગીરીમાં ફાયર સ્ટાફના જવાનો ભગવતસિંહ ગોહિલ, કૃષ્ણભાઈ ઓળકિયા, મિલનભાઈ ગાંભવા, જગદીશભાઈ ભુરીયા અને ધર્મેશભાઈ જુવાદરીયા જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 5:19 pm

તરઘરા મોગલ ધામમાં ધુળેટી પર્વની ભવ્ય ઉજવણી:માતાજીનો દિવ્ય શણગાર કરાયો, ભક્તો દર્શન કરવા ઉમટ્યા

બોટાદ જિલ્લાના પાળીયાદ તાલુકાના તરઘરા સ્થિત આઈ મોગલ ધામમાં ધુળેટી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પર્વ નિમિત્તે માતાજીનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.મોગલ ધામ દ્વારા સંચાલિત ગૌશાળામાં જીવદયા પ્રેમીઓએ અબોલ પશુઓ અને ગાયોને ભોજન કરાવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. માતાજીના દિવ્ય દર્શન અને માઁ મોગલના આશીર્વાદ મેળવવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સમગ્ર ધામમાં ભક્તિનો માહોલ છવાયો હતો.આ શુભ અવસરે માઁ મોગલની કૃપા સદાય વરસતી રહે અને ભક્તોનું જીવન સુખ, શાંતિ તથા સમૃદ્ધિથી ભરપૂર રહે તેવા આશીર્વાદ અપાયા હતા.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 5:15 pm

SP યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીઓ માટે કેક-ચોકલેટ વર્કશોપ:25થી વધુ સહભાગીઓએ તાલીમ લીધી, સ્વરોજગાર માટે પ્રોત્સાહન

વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના મણિબેન પટેલ વિમેન્સ સ્ટડીઝ સેન્ટર દ્વારા અનુસ્નાતક હોમ સાયન્સ વિભાગ ખાતે કેક અને ચોકલેટ બનાવવાની વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થિનીઓમાં સ્કીલ ડેવલપમેન્ટ દ્વારા સ્વરોજગારની તકો ઊભી કરવાનો અને ઉદ્યોગસાહસિકતા વિકસાવવાનો હતો. આ વર્કશોપમાં હોમ સાયન્સ વિભાગની વિદ્યાર્થિનીઓ પુષ્ટિ શાહ અને સદફ સૈયદ દ્વારા અન્ય ૨૫થી વધુ સહભાગીઓને વિવિધ પ્રકારની કેક અને ચોકલેટ બનાવવાની પ્રોફેશનલ તાલીમ આપવામાં આવી હતી. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજન પટેલના માર્ગદર્શન હેઠળ આ આયોજન કરવામાં આવ્યું હતું. સ્કીલ ડેવલપમેન્ટ દ્વારા મહિલા સશક્તિકરણના પ્રયાસ રૂપે આ તાલીમ આપવામાં આવી હતી, જેથી વિદ્યાર્થિનીઓ ઘરબેઠાં નાનો વ્યવસાય શરૂ કરી આર્થિક રીતે પગભર બની શકે. હોમ સાયન્સ વિભાગના વડા ડૉ. નમ્રિતા કોલા, વિમેન્સ સ્ટડીઝ સેન્ટરના માનદ નિયામક ડૉ. વિરાજ રોઘેલિયા અને પ્રોજેક્ટ આસિસ્ટન્ટ ભૂમિ ચાવડાના સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 5:01 pm

અમદાવાદમાં 24 કલાકમાં ટ્રેન અડફેટે બે વ્યક્તિના મોત:આધેડના મોતથી પરિવારનું હૈયાફાટ રૂદન, અન્ય મૃતકની ઓળખ બાકી; એક જ રેલવે ટ્રેક પર બંનેએ જીવ ગુમાવ્યો

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં એક જ રેલવે ટ્રેક પર ટ્રેન અડફેટે બે વ્યક્તિના મોતની ઘટના સામે આવી છે. જેમાં એક મૃતકની ઓળખ થઈ નથી જ્યારે બીજો મૃતક અખબારનગર વિસ્તારમાં રહેતા આધેડ હોવાનું સામે આવ્યું છે. આ મામલે વાડજ પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, આ બંને વ્યક્તિઓનું અકસ્માતે મોત થયું છે કે પછી આત્મહત્યા કરી છે. વાડજ પોલીસ દ્વારા આ બંને મામલે હાલ વધુ તપાસ કરવામાં આવી રહી છે. ગઈકાલ રાત્રે ટ્રેન અડફેટે અજાણ્યા વ્યક્તિનું મોતમળતી માહિતી મુજબ શહેરના અખબારનગર અંડરપાસ નજીક નારણપુરા આદર્શ પોલીસ ચોકી આવેલી છે. જ્યાંથી એક રેલવે ટ્રેક પસાર થઈ રહ્યો છે. આ રેલવે ટ્રેક પર ટ્રેન અડફેટે બે વ્યક્તિઓના મોત થયા છે. જેમાં ગઈકાલ રાત્રે એટલે કે, 3 માર્ચના રોજ રાત્રે એક વ્યક્તિ રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ટ્રેન અડફેટે તેનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે સવારના સમયે ટ્રેન અડફેટે આધેડનું મોતઆ ઘટના અંગે સ્થાનિકોને જાણ થતા જ તેમણે તાત્કાલિક વાડજ પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ વાડજ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જ્યારે આજે 4 માર્ચના રોજ સવારના સમયે ફરી અખબારનગર વિસ્તારમાં આવેલા સ્વાતંત્ર્ય સેનાની નગરમાં રહેતા 50 વર્ષીય આધેડ જ્યારે રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ટ્રેન અડફેટે તેમનું પણ મોત નિપજ્યું છે. બંને વ્યક્તિનું અકસ્માતે મોત કે પછી આત્મહત્યા?જોકે, આ અંગે જાણ કરવામાં આવતા વાડજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. બંને ઘટનામાં વાડજ પોલીસ દ્વારા અકસ્માતે મોત નોંધી તપાસ કરવામાં આવી રહી છે. જોકે, ટ્રેન પસાર થતી હતી ત્યારે અકસ્માતે મોત થયું છે કે, પછી આત્મહત્યા કરી છે. આ બંને મામલે હાલ પોલીસ દ્વારા વધુ તાપસ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 4:36 pm

વલસાડમાં વીજ લાઇનના તણખલાથી લાગી આગ:ધમડાચી ગ્રામ પંચાયત સામે ખુલ્લી જમીનમાં પ્રસરી

વલસાડ તાલુકાના ધમડાચી ગ્રામ પંચાયત સામે આવેલી ખુલ્લી જમીનમાં મંગળવારે બપોરે આગ લાગી હતી. પ્રાથમિક માહિતી મુજબ, ઉપરથી પસાર થતી વીજ લાઇનમાંથી તણખલા પડતાં સૂકા ઘાસમાં આગ ભભૂકી ઊઠી હતી. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગ ઝડપથી ખુલ્લી જમીનમાં ફેલાવા લાગી હતી. કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાઈ જતાં નજીકના રહેણાંક વિસ્તારોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. પરિસ્થિતિની ગંભીરતા પારખી સ્થાનિકોએ તાત્કાલિક વીજ કંપનીને જાણ કરી વીજ પુરવઠો બંધ કરાવવા વિનંતી કરી હતી. આ સાથે જ વલસાડ ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવતાં ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા સઘન પ્રયાસો કર્યા હતા. લાંબા પ્રયાસો બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ખુલ્લી જમીનમાં રહેલા સૂકા ઘાસ અને ઝાડ-ઝાંખરાને વ્યાપક નુકસાન થયું છે. સ્થાનિકોએ તંત્રને ઉનાળાની ઋતુમાં વીજ લાઇનના યોગ્ય નિરીક્ષણ અને સમયસર જાળવણી કરવા અપીલ કરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળી શકાય.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 4:00 pm

મોડાસામાં ધુળેટી પર્વની ઉજવણી:છેલ્લા 25 વર્ષની જેમ આ વખતે પણ ઇકો-ફ્રેન્ડલી રંગોના ઉપયોગ સાથે પર્વ ઉજવ્યો

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં હોળી અને ધુળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. વહેલી સવારથી જ શહેરીજનોએ અબીલ-ગુલાલ સાથે એકબીજાને રંગીને હેપ્પી હોળીના નાદ સાથે ખુશી વ્યક્ત કરી.મોડાસાના માલપુર રોડ પર વિવિધ યુવા ગ્રુપોએ મિત્રોને રંગેબેરંગી રંગોથી રંગ્યા હતા. ઢોલ-નગારાના તાલે ગરબા રમીને ધુળેટીની મોજ માણી હતી. આ ઉજવણીમાં સંકલ્પ ગ્રુપ ખાસ ઓળખ ધરાવે છે. આ ગ્રુપ છેલ્લા 25 વર્ષથી સતત ઇકો-ફ્રેન્ડલી રંગો સાથે ધુળેટીની ઉજવણી કરે છે. તેઓ પ્રકૃતિ પ્રત્યે જવાબદારી અને સંબંધોમાં સદાય રંગીનતા જાળવવાનો સંદેશ પણ ફેલાવે છે. સંકલ્પ ગ્રુપના મિત્રો સુખ-દુઃખમાં એકબીજાનો સાથ આપે છે. ધુળેટીના દિવસે તેઓ પરિવાર સાથે એકબીજાને રંગ લગાવીને મિત્રતા અને એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે.આ રીતે 25 વર્ષથી ચાલતી આ પરંપરા આજે મોડાસામાં મિત્રતા અને સામાજિક એકતાનું પ્રતિક બની છે. શહેરીજનોએ રંગો વચ્ચે ખુશીના પળો સર્જીને ધુળેટીના પર્વને યાદગાર બનાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 3:51 pm

ગાંધીનગરમાં રંગોત્સવની ધૂમ:'હોલી હૈ'ના નાદ સાથે શહેર ધૂળેટીના રંગે રંગાયું, સેન્ટ્રલ વિસ્ટાથી લઈ સોસાયટીઓ સુધી રંગોની છોળો ઉડી

સમગ્ર ગુજરાતમાં આજે હોળી બાદ બીજા દિવસે ધૂળેટીના પર્વની અત્યંત ઉત્સાહ અને ઉમંગ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગર માં વહેલી સવારથી જ અબાલ-વૃદ્ધ સૌ કોઈ રંગોના આ મહોત્સવમાં તરબોળ જોવા મળી રહ્યા છે. શેરીઓ, મહોલ્લાઓ અને સોસાયટીઓમાં 'હોલી હૈ' ના ગુંજારવ સાથે લોકો એકબીજાને ગુલાલ અને પાણીથી ભીંજવીને પર્વની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. ગાંધીનગરના ધૂળેટીના કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતારાજ્યના પાટનગર ગાંધીનગરમાં ધૂળેટી પર્વની વિશેષ ધામધૂમ જોવા મળી હતી. ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે મહાનગરપાલિકા દ્વારા આયોજિત વિશેષ કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે ગાંધીનગરના મેયર પણ નગરજનો સાથે રંગોત્સવના રંગે રંગાયા હતા અને પરસ્પર ગુલાલ લગાવી તહેવારની ઉજવણી કરી હતી. ધારાસભ્ય રીટા પટેલે પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે ઉજવણી કરીબીજી તરફ રાજકીય અગ્રણીઓએ પણ કાર્યકરો અને જનતા વચ્ચે જઈને ઉત્સવ મનાવ્યો હતો. ધારાસભ્ય રીટા પટેલે પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે હોળી-ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો પણ જોડાયા હતા. શહેરની વિવિધ સોસાયટીઓમાં પણ સવારથી જ ડીજેના તાલે યુવાધન ઝૂમતું જોવા મળ્યું હતું. સવારથી જ સઘન પેટ્રોલિંગ અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો તહેવારના આનંદમાં કોઈ ખલેલ ન પહોંચે અને ક્યાંય પણ અણબનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સવારથી જ સઘન પેટ્રોલિંગ અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને ભીડભાડવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પોલીસના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે, જેથી શાંતિપૂર્ણ માહોલમાં લોકો તહેવારની મજા માણી શકે. ગાંધીનગરમાં આજે સવારથી જ રંગોની છોળો ઉડી રહી છે શહેરની સોસાયટીઓમાં સમૂહ ભોજન અને રેઈન ડાન્સના આયોજનોએ આકર્ષણ જમાવ્યું હતું. વિવિધ જ્ઞાતિ-જાતિના લોકોએ સાથે મળીને ભાઈચારાના સંદેશ સાથે પર્વની ઉજવણી કરી હતી. આમ, સમગ્ર ગાંધીનગરમાં આજે સવારથી જ રંગોની છોળો ઉડી રહી છે અને ભાઈચારાના પ્રતિક સમાન આ પર્વે જનજીવનને ઉત્સાહથી ભરી દીધું છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 3:49 pm

સુરેન્દ્રનગર આચાર્ય સંઘની પ્રથમ કારોબારી બેઠક યોજાઈ:કે.પી. બોયઝ સ્કૂલમાં અધિવેશન સ્થળ અને પ્રતિનિધિઓની નિયુક્તિ

સુરેન્દ્રનગર જિલ્લા આચાર્ય સંઘની પ્રથમ કારોબારી બેઠક કે.પી. બોયઝ સ્કૂલ ખાતે યોજાઈ હતી. મહામંત્રી યુવરાજસિંહે શાબ્દિક સ્વાગત કરીને એજન્ડા મુજબ કાર્યવાહી આગળ વધારી હતી. આ બેઠકમાં સંઘના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં સૌપ્રથમ જિલ્લા આચાર્ય સંઘના અધિવેશનના સ્થળ અને કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને તેને બહાલી આપવામાં આવી હતી. ત્યારબાદ, સુરેન્દ્રનગર જિલ્લામાંથી રાજ્યના બે પ્રતિનિધિઓની નિયુક્તિ કરવાના એજન્ડા મુજબ પ્રમુખ સુનિલભાઈએ મનુભાઈ જોગરાણા અને મુકેશભાઈ ઉપાધ્યાયના નામની દરખાસ્ત કરી હતી, જેને સર્વસંમતિથી મંજૂરી મળી હતી. અધ્યક્ષ આર.કે. ગોહિલે ઓપીએસ ફાઈલ અને સેવા જોડાણ સંબંધિત ઓફિસ દ્વારા થયેલી કાર્યવાહી તેમજ તે અંગેની રજૂઆતો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. અધિવેશનના કન્વીનર તરીકે સંદીપભાઈ પટેલ અને સહ-કન્વીનર તરીકે ગજેન્દ્રસિંહ ઝાલાની નિમણૂક કરવામાં આવી હતી. આ કારોબારીમાં સંઘની અત્યાર સુધીની કાર્યવાહી, ઓફિસમાં ઉદ્ભવેલા પ્રશ્નો અને રાજ્ય કક્ષાના પ્રશ્નોની વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી. પ્રથમ કારોબારી બેઠકમાં તમામ સભ્યો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા, જે બદલ અધ્યક્ષ, પ્રમુખ અને મહામંત્રી દ્વારા સર્વનો આભાર માનવામાં આવ્યો હતો. આગામી સમયમાં આચાર્યો એક બનીને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સાથે સંકલન સાધી, સુરેન્દ્રનગર જિલ્લાની ગ્રાન્ટેડ શાળાઓમાં ઉત્તમ પરિણામ લાવવા, વધુ બાળકોને પ્રવેશ અપાવવા અને જિલ્લાના શિક્ષણ સ્તરને રાજ્ય કક્ષાએ જાળવી રાખવા તેમજ વિદ્યાર્થી હિતલક્ષી કાર્યવાહીઓ શ્રેષ્ઠ રીતે થાય તેવો સંકલ્પ સર્વેએ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 3:24 pm

મહેસાણામાં ડીજેના તાલે ધુળેટીની રંગેચંગે ઉજવણી:સમર્પણ ચોક અને ડી-માર્ટ સર્કલ પાસે યુવાનો અબીલ-ગુલાલના રંગોથી રંગાયા

ઉત્તર ગુજરાતના મુખ્ય મથક મહેસાણા શહેરમાં આજે ધુળેટીના પર્વની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શહેરના માર્ગો અને સોસાયટીઓ અબીલ-ગુલાલના રંગોથી રંગાઈ ગયા હતાં. ખાસ કરીને શહેરના સમર્પણ ચોક અને ડી-માર્ટ સર્કલ જેવા વિસ્તારોમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ડિજેના સથવારે રંગોમાં રંગાઈ પર્વની ઉજવણીમહેસાણાના સમર્પણ ચોક વિસ્તારમાં આયોજિત ધુળેટીના કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ મયંક નાયકે હાજરી આપી હતી. તેમણે સામાન્ય નાગરિકો અને કાર્યકરો સાથે મળીને હોળીના રંગોમાં રંગાઈ પર્વની ઉજવણી કરી હતી. લોકપ્રિય નેતાને પોતાની વચ્ચે જોઈ લોકોમાં પણ ભારે આનંદ જોવા મળ્યો હતો. સાંસદ પણ રંગોમાં રંગાઈ ગયાબીજી તરફ શહેરના વ્યસ્ત ગણાતા ડી-માર્ટ સર્કલ પાસે લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ પણ ધુળેટીની રમતમાં જોડાયા હતાં. તેમણે પક્ષના કાર્યકરો અને આમ જનતા સાથે રંગો રમીને પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. મહેસાણા શહેરમાં ઠેર-ઠેર લોકો ડીજેના તાલે અને પરંપરાગત ગીતો સાથે હોળી રમતા જોવા મળ્યા હતા. શહેરભરમાં શાંતિપૂર્ણ માહોલમાં અને ભાઈચારા સાથે ધુળેટીની ઉજવણી સંપન્ન થઈ હતી.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 2:44 pm

બોર્ડની પરીક્ષા વહેલી પૂર્ણ કરવા સંચાલક મહામંડળની માંગ:શિક્ષકો બોર્ડની કામગીરીમાં અટવાતા ધો. 9 અને 11ના વિદ્યાર્થીઓનો અભ્યાસ અધૂરો રહે એવી સ્થિતિ

ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે. જોકે, આ વખતે પરીક્ષા લાંબી ચાલવાની હોવાથી 26 ફેબ્રુઆરીએ શરૂ થયેલી પરીક્ષા 18 માર્ચના રોજ પૂરી થવાની છે. બોર્ડની પરીક્ષા લાંબી ખેંચવામાં આવતા રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા ગુજરાત બોર્ડને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં બોર્ડની પરીક્ષા લાંબી ચાલતી હોવાથી ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ રહી હોવાની રજૂઆત કરવામાં આવી છે. શિક્ષકો સુપરવાઈઝરની કામગીરીમાં અને શાળામાં બોર્ડનું સેન્ટર હોવાથી ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને પૂરતો અભ્યાસ કરાવી શકાતો ન હોવાથી બોર્ડની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરી વહેલી પૂર્ણ કરવા માટે માંગ કરવામાં આવી છે. બોર્ડની પરીક્ષાઓ વહેલી પૂરી કરાવવા રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા માંગજેથી રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા ગુજરાત બોર્ડને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે કે, બોર્ડની પરીક્ષા લાંબી ખેંચવામાં આવતા અન્ય વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. શિક્ષકો સુપરવાઈઝરની કામગીરીમાં જોડાયેલા હોવાથી અભ્યાસક્રમ પણ અધૂરી રહી જાય એવી સ્થિતિ સર્જાઈ છે. 16 તારીખ સુધીમાં પરીક્ષા પૂર્ણ થઈ જતી હતી પરંતુ, હોળી અને ધૂળેટીના તહેવારની રજાઓ હોવાથી તે તારીખમાં યોજાયેલી પરીક્ષા 18 તારીખે યોજવામાં આવી છે. જેથી પરીક્ષા લાંબી ચાલવાની છે. જેથી રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા માંગ કરવામાં આવી છે કે, પરીક્ષા વહેલી પૂર્ણ કરી શિક્ષકોને ફ્રી કરી દેવામાં આવે જેથી તે અન્ય વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પૂર્ણ કરી શકે. ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે છેરાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, પહેલા પુણા બોર્ડ હતું ત્યારે રોજના બે પેપર લેવાતા હતા જેમાં વચ્ચે એક કલાકનો સમય આપવામાં આવતો હતો. જે 5 દિવસમાં પૂર્ણ થઈ જતી હતી. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં વચ્ચે એક એક દિવસનો ગેપ આપવામાં આવે છે. જેનો અમને કોઈ વિરોધ નથી પરંતુ ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે છે. અમારા શિક્ષકો સુપરવાઈઝર હોય છે કે પરીક્ષાના કામથી બીજા સેન્ટર પર જતા હોય છે. જેથી અમારી શાળાઓમાં રામ રાજ્ય અને પ્રજા સુખી જેવી સ્થિતિ છે. 20 દિવસ અભ્યાસ બગડે તો સ્વભાવિક છે કે ત્રણ ચાર ચેપ્ટર કે પાઠ ચાલી શકે નહીં. છતાં પણ વાર્ષિક પરીક્ષામાં તેમાંથી સવાલ પૂછવામાં આવે છે. પરીક્ષાનો સમય ખૂબ લાંબો રાખવામાં આવ્યો છે તે ટૂંકો કરવામાં આવેવધુમાં ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, ફ્લાઇંગ સ્કોડ હોય સ્થાયી સ્કોડ હોય તેના પણ ભાડા ભથ્થા ચડવાના છે. કારણ કે પરીક્ષા ન હોય તો તે ઘરે પરત થોડી આવવાના છે. તેમજ અત્યારે પરીક્ષાનો એક મોટો હાવ ઉભો કરવામાં આવ્યો છે. જેથી તેની અસર વિદ્યાર્થીઓ પર ખરાબ પડી છે. પરીક્ષા ખરાબ જાય તો માનસિક તણાવમાં આવીને વિદ્યાર્થી આત્મહત્યા કરતો હોય છે. જેથી અમે રજૂઆત કરી છે કે પરીક્ષાનો સમય ખૂબ લાંબો રાખવામાં આવ્યો છે તે ટૂંકો કરવામાં આવે અને જરૂર જણાય તો સવાર અને સાંજ એમ એક દિવસમાં બે પેપર રાખીને વહેલો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવે અને શિક્ષકો વહેલા ફ્રી થશે તો ધોરણ 9 અને 12ના વિદ્યાર્થીઓના અભ્યાસ પર નુકશાન થતું અટકાવી શકાય.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 2:36 pm

કલ્કિ તીર્થધામ સંધમેળા માટે મોડાસામાં આયોજન બેઠક:552મો પરંપરાગત મેળો 20 માર્ચ 2026ના રોજ યોજાશે

મોડાસાના પ્રાર્થના હોલ ખાતે શ્રી કલ્કિ તીર્થધામ પ્રેરણાપીઠના ૫૫૨મા પરંપરાગત સંધમેળાના આયોજન માટે એક બેઠક યોજાઈ હતી. આ મેળો સંવત 2082 ચૈત્ર સુદ-2, એટલે કે 20 માર્ચ, 2026ના રોજ શુક્રવારે યોજાવા જઈ રહ્યો છે. આ બેઠક અરવલ્લી જિલ્લામાંથી પગપાળા જતા પદયાત્રી સંઘના આયોજન માટે હતી. આ વર્ષે અરવલ્લી વિભાગને પ્રેરણાપીઠ ખાતે ભોજનપ્રસાદ, ચા અને નાસ્તાની જવાબદારી સોંપવામાં આવી છે, જેની યોજનાઓ ઘડવામાં આવી હતી. મંત્રીએ સમાજના સૌ સભ્યોને આવકાર્યા હતા. સભાની શરૂઆત પહેલાં, આ વર્ષે અવસાન પામેલા સભ્યોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સભા અધ્યક્ષ તરીકે રમેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પ્રેરણાપીઠના ટ્રસ્ટી અંબાલાલ પટેલ, કે.કે.પી. ટ્રસ્ટના મંત્રી હરિ પટેલ (ગઢકંપા), કે.કે.પી.ના ટ્રસ્ટી ઈશ્વર પટેલ, સતપંથના પ્રમુખ અંબાલાલ પટેલ, તેમજ પદયાત્રી પગપાળા સંઘના પ્રમુખ જયંતિભાઈ એચ. પટેલ અને મંત્રી રણછોડે પ્રેરણાપીઠના આયોજનની વિગતો જણાવી હતી. આ બેઠકમાં સતપંથ સમાજના પ્રમુખ દ્વારા જગદીશ પટેલ (લિંભોઈકંપા)ને અરવલ્લી જિલ્લા ભાજપ ઉપપ્રમુખની જવાબદારી મળતા શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. આયોજન માટે સમાજના વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 2:34 pm

પાળિયાદ પાંજરાપોળને શાહ પરિવારનું ₹1 લાખનું અનુદાન:માતા-પિતાની સ્મૃતિમાં જીવદયા માટે અર્પણ કરાયા

બોટાદ જિલ્લાના પાળિયાદ સ્થિત મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટને ₹1,00,000 (એક લાખ રૂપિયા)નું અનુદાન મળ્યું છે. આ દાન અમદાવાદ નિવાસી શાહ પરિવારે તેમના સ્વર્ગસ્થ માતા મધુ શાહ અને પિતા ચંપકલાલ શાહની સ્મૃતિમાં જીવદયાના કાર્ય માટે આપ્યું છે. આ અનુદાન ફાલ્ગુની શાહ પરિવારે અર્પણ કર્યું હતું. મૂળ પાળિયાદના વતની શાહ પરિવાર હાલ અમદાવાદમાં સ્થાયી થયેલો છે અને જીવદયા પ્રત્યે ઊંડો પ્રેમ ધરાવે છે. પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટના ટ્રસ્ટીગણ તેમજ સેવાભાવી ટીમે સ્વર્ગસ્થ મધુ અને ચંપકલાલને સ્નેહ સ્મરાંજલિ અર્પણ કરી હતી. તેમણે પરિવારના જીવદયાના આ સુકૃત કાર્યની ખૂબ પ્રશંસા કરી હતી.ટ્રસ્ટ દ્વારા દાતાઓનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો. સાથે જ, તેમણે લોકોને શક્ય તેટલી વધુ અબોલ જીવોની સેવા કરવા માટે ખાસ વિનંતી કરી હતી.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 2:25 pm

ભરૂચની જામા મસ્જિદમાં કેટલીક મહિલાઓએ પૂજા કરતાં હોબાળો:મુસ્લિમ સમાજે વિરોધ નોંધાવીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી, મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં ગઈકાલે 3જી માર્ચે કેટલીક મહિલાઓ દ્વારા પૂજા કરવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનાને કારણે શહેરમાં તણાવનું વાતાવરણ સર્જાયું છે અને મુસ્લિમ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં મહિલાઓ ફૂલ, શ્રીફળ અને પ્રસાદ સાથે મસ્જિદ પરિસરમાં પૂજા કરતી જોવા મળે છે. આ કૃત્ય સામે મુસ્લિમ સમાજે વિરોધ નોંધાવીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ભરૂચ શહેરની મધ્યમાં આવેલી આ જામા મસ્જિદ હાલમાં પુરાતત્વ વિભાગના સંરક્ષણ હેઠળ છે. જોકે, સંત સમાજ દાવો કરે છે કે આ સ્થળ મૂળ સમળી વિહાર જૈન મંદિર અને ચક્રધર સ્વામીનું જન્મસ્થળ છે, જેને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ઘટનાના વિરોધમાં જામા મસ્જિદ ખાતે ટ્રસ્ટીઓ અને મુસ્લિમ આગેવાનો એકઠા થયા હતા. તેમણે જણાવ્યું કે આ સ્થળ ઇસ્લામિક ધાર્મિક પરંપરાઓ મુજબ સંચાલિત થાય છે, તેથી અન્ય ધાર્મિક ક્રિયાઓ યોગ્ય નથી અને ધાર્મિક સ્થળની પરંપરાઓનું પાલન થવું જોઈએ. બીજી તરફ, સંત સમાજ તેમના દાવાને પુનરાવર્તિત કરી રહ્યો છે કે આ સ્થળ જૈન મંદિર અને ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હતું. આ મુદ્દે અગાઉ સંત સમિતિ દ્વારા ઉપવાસ આંદોલન પણ કરવામાં આવ્યું હતું. મસ્જિદ પુરાતત્વ વિભાગ હેઠળ હોવા છતાં અંદર નિયમો વિરુદ્ધ મદરેસા સહિતની પ્રવૃત્તિઓ ચાલતી હોવાના આક્ષેપો પણ ભૂતકાળમાં થયા હતા. આ સમગ્ર ઘટનાને પગલે શહેરમાં વિવિધ વર્ગોમાં ચર્ચા શરૂ થઈ છે. તંત્ર દ્વારા હાલ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 2:25 pm

સુરેન્દ્રનગર પોલીસ વડાએ પરિવાર સાથે હોળી ઉજવી:અધિકારીઓ અને જવાનોએ રંગોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ તેમના પોલીસ પરિવાર સાથે હોળી પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરી હતી. આ પ્રસંગે રંગો અને આનંદના માહોલ વચ્ચે સમગ્ર પોલીસ પરિવાર એકતાના રંગે રંગાઈ ગયો હતો. જિલ્લા પોલીસ વડાએ તમામ પોલીસ પરિવારોને હોળી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તેઓ પોતે પણ પોલીસ પરિવાર સાથે રંગ ઉડાડતા અને નૃત્ય કરતા જોવા મળ્યા હતા, જેના કારણે વાતાવરણમાં અનેરો ઉત્સાહ છવાઈ ગયો હતો. આ ઉજવણીમાં જિલ્લા પોલીસ વડા સાથે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ તેમજ SOG અને LCB સહિતના ઉચ્ચ અધિકારીઓએ પણ મન મૂકીને હોળી રમી હતી. સૌએ પરસ્પર રંગ લગાવીને આનંદ વ્યક્ત કર્યો હતો. હોળીના આ ઉત્સવ દરમિયાન મેઘધનુષ્ય જેવા રંગીન દ્રશ્યો સર્જાયા હતા, જ્યાં એકતા, પ્રેમ અને સૌહાર્દના રંગો ઝળહળતા જોવા મળ્યા હતા.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 2:23 pm

રાજ્યભરમાં ધૂળેટીની ઉજવણી, ભરૂચમાં રંગોત્સવની ધૂમ:લોકોએ એકબીજાને રંગ લગાવી શુભેચ્છાઓ પાઠવી

સમગ્ર રાજ્યભરમાં રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. ફાગણ સુદ પૂનમ એટલે કે હોળીના બીજા દિવસે આ તહેવાર ઉજવાય છે. વિવિધ શહેરો અને ગામોમાં ધૂળેટી નિમિત્તે વિશેષ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં તમામ વય જૂથના લોકો જોડાયા હતા. ભરૂચ જિલ્લામાં પણ અનેક સ્થળોએ ધૂળેટીના આયોજનો થયા હતા. લોકોએ એકબીજાને રંગ લગાવી શુભેચ્છાઓ પાઠવી હતી. રંગબેરંગી ગુલાલ અને રંગોથી વાતાવરણ છવાઈ ગયું હતું. શહેરના વિસ્તારોમાં નાના બાળકો પિચકારી અને પાણીના ગુબ્બારાઓ સાથે ધૂળેટી રમતા જોવા મળ્યા હતા. યુવાનોમાં પણ તહેવારને લઈને ઉત્સાહ હતો. ધૂળેટી પર્વ દરમિયાન જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મુખ્ય વિસ્તારોમાં પોલીસની દેખરેખ રાખવામાં આવી હતી. જિલ્લા ભાજપ દ્વારા પણ ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના નિવાસસ્થાને મોટી સંખ્યામાં કાર્યકરો એકત્રિત થયા હતા. તેમણે એકબીજાને રંગ લગાવી અને મીઠાઈ ખવડાવી પર્વની ઉજવણી કરી હતી. ભરૂચ જિલ્લામાં 24 કલાક લોકોની સેવામાં હાજર રહેતી 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓએ પણ એકબીજાને રંગ લગાવી શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લામાં કુલ 34 જેટલી 108 એમ્બ્યુલન્સ કાર્યરત છે અને અંદાજે 130 જેટલા કર્મચારીઓ હોળી-ધૂળેટી દરમિયાન ખડે પગે તૈનાત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 2:19 pm

બોટાદ ક્રેડિટ સોસાયટીમાં ₹25.80 લાખની ઉચાપત:મંત્રીએ પ્રમુખ સહિત 11 સભાસદોના ખાતામાંથી રકમ ઓછી દર્શાવી

બોટાદમાં સૌરાષ્ટ્ર ક્રેડિટ કો. ઓ. સોસાયટીના મંત્રી હનીફ હમીરભાઈ કુરેશી સામે રૂ. 25,80,538ની ઉચાપતનો આરોપ લાગ્યો છે. તેમણે સોસાયટીના પ્રમુખ સહિત 11 સભાસદોના ખાતામાંથી થાપણની રકમ ઓછી દર્શાવીને આ ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મંત્રી હનીફ કુરેશીએ સભાસદો દ્વારા જમા કરાવવામાં આવેલી થાપણની વાસ્તવિક રકમ કરતાં ઓછી રકમ ખાતામાં દર્શાવી હતી અને બાકીની રકમની ઉચાપત કરી હતી. આ ઘટના બાદ મંત્રી હનીફ કુરેશી સોસાયટીની ઓફિસને તાળા મારી ફરાર થઈ ગયા છે. આ મામલે સૌરાષ્ટ્ર ક્રેડિટ કો. ઓ. સોસાયટીના પ્રમુખ કિશોરભાઈ નરશીહભાઈ કાપડીયાએ હનીફ કુરેશી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસે હનીફ હમીરભાઈ કુરેશી વિરુદ્ધ કલમ 316(2), 316(5), 318(4) અને 366(3) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઉચાપત અંગેની માહિતી પ્રમુખ કિશોરભાઈ નરશીહભાઈ કાપડીયાએ આપી હતી.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 2:13 pm

માલપુરમાં ડૂબી જવાથી બે માસૂમ બાળકના મોત:બે પિતરાઈ ભાઈ તળાવમાં નહાવા પડ્યા હતા; ડામોર પરિવારમાં ધુળેટીની ખુશીઓ માતમમાં ફેરવાઈ

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નવા (જાંબુ ફળી) ગામે ધુળેટીના તહેવારની ઉજવણી વચ્ચે એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. ગામના તળાવમાં નહાવા પડેલા બે પિતરાઈ ભાઈના ડૂબી જવાથી મોત નિપજ્યાં છે, જેના કારણે આખા ગામમાં હોળી-ધુળેટીની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ છે. ઊંડા પાણીમાં ઉતરી જવાથી બંને ડૂબવા લાગ્યા મળતી માહિતી મુજબ, નવા જાંબુ ફળી વિસ્તારમાં રહેતા બે તરુણ, રાયચંદ ડામોર અને જૈમીન ડામોર, ધુળેટી રમીને શરીર સાફ કરવા અથવા નહાવા માટે ગામના તળાવે ગયા હતા. બંને બાળક ધોરણ 5 અને 6માં અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે. નહાતી વખતે અચાનક ઊંડા પાણીમાં ઉતરી જવાથી બંને બાળક ડૂબવા લાગ્યા હતા. આ પણ વાંચો, મહીસાગર નદીમાં બે યુવાન ડૂબ્યા, એકનું મોત આખું ગામ તળાવ કિનારે ઉમટી પડ્યું બાળકો ડૂબ્યા હોવાની જાણ થતા જ આખું ગામ તળાવ કિનારે ઉમટી પડ્યું હતું. તાત્કાલિક મોડાસા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયરના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ભારે જહેમત બાદ બંને તરુણના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આ પણ વાંચો, હળવદમાં નર્મદા કેનાલમાં ડૂબી જતાં યુવાનનું મોત, પાણી પીવા જતાં પગ લપસ્યો બંને મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા માલપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે માલપુર CHC (રેફરલ હોસ્પિટલ) ખાતે ખસેડવામાં આવ્યા છે. તહેવારના દિવસે જ બે આશાસ્પદ બાળક ગુમાવતાં ડામોર પરિવાર અને સમગ્ર ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 2:12 pm

દાહોદ જેલમાં ધારાસભ્યએ કેદીઓ સાથે ધુળેટી ઉજવી:કેસૂડાના રંગોથી રમી, ટીમલીના તાલે ઝૂમ્યા; રમઝાનની શુભેચ્છાઓ પાઠવી

દાહોદ જિલ્લા સબજેલમાં હોળી-ધુળેટી પર્વ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેલોના પોલીસ મહાનિદેશક ડૉ. કે.એલ.એન. રાવની સૂચના અનુસાર, બંદીવાનો તહેવારના આનંદથી વંચિત ન રહે તે હેતુથી આ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ ઉપસ્થિત રહી કેદીઓનો ઉત્સાહ વધાર્યો હતો. ઉજવણીની શરૂઆત કુદરતી રંગોથી થઈ હતી. ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, જેલ અધિક્ષક એમ.એલ. ગમારા અને અન્ય અધિકારીઓએ કેદીઓ સાથે કેસૂડાના ફૂલોમાંથી બનેલા પ્રાકૃતિક રંગોથી ધુળેટી રમી હતી. જેલ અધિક્ષક એમ.એલ. ગમારાએ જણાવ્યું કે, દાહોદ સબજેલમાં દરેક ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારની ઉજવણી થાય છે, જેથી કેદીઓમાં સકારાત્મકતા જળવાઈ રહે. ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ કેદીઓને સંબોધતા કહ્યું કે, આ આદિવાસીઓનો સૌથી મોટો તહેવાર છે, જે પરંપરાગત રીતે ઉજવાય છે. તેમણે કેસૂડાના પ્રાકૃતિક રંગોના ઔષધીય ગુણધર્મો વિશે પણ માહિતી આપી હતી. તેમણે દાહોદની પરંપરા મુજબ હોળી દરમિયાન વાલોર-પાપડીનું શાક ખાવાનું મહત્વ સમજાવ્યું. ધારાસભ્યએ જેલના રસોડાની મુલાકાત લઈ કેદીઓ માટે બનેલા વાલોર-પાપડીના શાકની ચકાસણી કરી જેલ પ્રશાસનની કામગીરી પર સંતોષ વ્યક્ત કર્યો. કાર્યક્રમમાં સાંપ્રદાયિક સૌહાર્દ પણ જોવા મળ્યો. ધારાસભ્યએ મુસ્લિમ કેદીઓને પવિત્ર રમઝાન માસની શુભેચ્છાઓ પાઠવી. તેમણે રમઝાન દરમિયાન રોઝા રાખતા કેદીઓને અપાતી સુવિધાઓ વિશે જેલ પ્રશાસન પાસેથી માહિતી મેળવી. ઉજવણીના અંતે, ધારાસભ્ય, જેલ સ્ટાફ અને કેદીઓએ આદિવાસી પરંપરા મુજબ 'ટીમલી'ના તાલે નૃત્ય કર્યું.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 2:10 pm

જનતા રેડ બાદ દેશી દારૂના સાધનો સાથે પોલીસ મથકે હલ્લાબોલ:સરસ્વતીના રખાવના ગ્રામજનો સાથે પાટણના ધારાસભ્યનું એગ્રી યંગમેન રૂપ, અધિકારીનો ઉધડો લીધો

પાટણ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને સરસ્વતી તાલુકાના રખાવ ગામના ગ્રામજનોએ દેશી દારૂના દૂષણ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. જેને પગલે સ્થાનિક રાજકારણ અને પોલીસ તંત્રમાં ગરમાવો આવી ગયો છે. હોળી ઘૂળેટીનું પર્વ ઉજાવતાં ધારાસભ્ય જનતારેડ બાદ પોલીસ સ્ટેશન પર દોડી ગયા હતા. વારંવારની રજૂઆતો છતાં પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળેલા ગ્રામજનોએ જાતે જ દારૂના અડ્ડાઓ પર 'જનતા રેડ' કરી, દારૂ બનાવવાનો સામાન જપ્ત કર્યો હતો અને આ તમામ મુદ્દામાલ સાથે સરસ્વતી પોલીસ સ્ટેશન પહોંચી ભારે હોબાળો મચાવ્યો હતો. અહીં પાટણના ધારાસભ્યનું એંગ્રીયંગમેન રૂપ જોવા મળ્યું હતું. તેમણે પોલીસનો ઉધડો લીધો હતો. પ્રસંગમાં પણ દારૂના અડ્ડા ચાલુ રહેતા વિવાદપ્રાપ્ત માહિતી અનુસાર, રખાવ ગામમાં હાલમાં એક પ્રતિષ્ઠા મહોત્સવ જેવો ધાર્મિક પ્રસંગ ચાલી રહ્યો છે. પવિત્ર વાતાવરણ વચ્ચે પણ ગામમાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ ન થતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે અનેકવાર મૌખિક અને લેખિત જાણ કરવા છતાં પોલીસ કોઈ નક્કર પગલાં ભરતી નથી. અંતે જનતાએ કાયદો હાથમાં લીધા વિના, પુરાવા એકઠા કરવાના હેતુથી અડ્ડાઓ પર જઈ દારૂ ગાળવાની ભઠ્ઠીઓ અને અન્ય સાધનો કબજે કર્યા હતા. પોલીસ સ્ટેશનમાં ધારાસભ્યની ગર્જનાપાટણ ધારાસભ્ય કિરીટ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ગામની અંદર ખુલ્લેઆમ દેશી દારૂ વેચાય છે. વારંવાર પોલીસને, PI ને જાણ કરવા છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી. એ દિવસે મેં મારા ફોનથી PI ચૌધરીને ફોન કરેલો. PI ચૌધરીએ ઉદ્ધત જવાબ આપેલા, એવું સમજે છે PI કે આ એના બાપનું પોલીસ સ્ટેશન છે! એવું કહ્યું કે કોઈ દારૂ વેચાતો નથી. એના પછી મેં SPને પણ ફોન કરેલો, એના પછી ફરીથી મેં બે વાર ફોન કરેલા. છતાં પણ સરસ્વતી PI મોટા હપ્તા લઈ, સરસ્વતી પોલીસ સ્ટેશનના જે જે અધિકારીઓ અહીં છે... એ ગામ લોકોનું કહેવું છે કે મોટા મોટા હપ્તા લઈ અને દેશી દારૂનું વેચાણ કરાવતા હતા. આજે ગામ લોકો ભેગા થઈ અને જનતા રેડ કરી અને બધો સામાન લઈને અહીં આવ્યા છે. ગામના લોકોએ PI ને ફોન કર્યો તો PI એવો જવાબ આપ્યો કે મને ટાઈમ નથી તમારે થાય એ કરી લો, અને ઉપરથી જે લોકો રેડ કરવા ગયેલા હતા એમના ઉપર ખોટા પોલીસ કેસ કરવાની ધમકીઓ આપેલ છે. વારંવાર રજૂઆત કરવા છતાં જો ધારાસભ્યની પણ રજૂઆત ના સંભળાતી હોય તો આ PI ને શું હવા હશે અથવા કેટલો હપ્તો મળતો હશે એની તપાસ કરવી જોઈએ. એના જે પણ જવાબદાર અધિકારી હોય એની સામે કાર્યવાહી થવી જોઈએ.તંગ વાતાવરણ અને તંત્ર સામે સવાલોધારાસભ્યએ તાત્કાલિક અસરથી સરસ્વતી તાલુકાના તમામ ગામોમાંથી દેશી દારૂના અડ્ડાઓ નાબૂદ કરવાની માંગ કરી છે. પોલીસ મથક પરિસરમાં લોકોના ટોળેટોળા ઉમટી પડતા અને સૂત્રોચ્ચાર થતા વાતાવરણ તંગ બન્યું હતું. સ્થાનિકોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં કડક કાર્યવાહી નહીં થાય તો આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. હવે જોવાનું એ રહે છે કે આટલા મોટા વિવાદ બાદ પોલીસ તંત્ર જાગશે કે પછી બુટલેગરો સામેની કાર્યવાહી માત્ર કાગળ પર જ સીમિત રહેશે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 2:02 pm

ધુળેટી પર્વમાં ભાઈચારો અને લાગણીના રંગોમાં રંગાયુ જુનાગઢ..:જૂનાગઢમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યુવાનો, મહિલાઓ અને બાળકોએ મન મૂકીને માણ્યો રંગોત્સવ, ગરબા અને સિંધી સમાજના મિષ્ટાન્ન સાથે ભવ્ય ધુળેટી ની ઉજવણી.

​ઐતિહાસિક નગરી જૂનાગઢમાં આજે રંગોનો ઉત્સવ 'ધુળેટી' અત્યંત હર્ષોલ્લાસ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો. સવારથી જ જૂનાગઢની શેરીઓ, ગલીઓ અને રહેણાંક સોસાયટીઓ રંગબેરંગી કલરોથી રંગાઈ ગઈ હતી. બુરા ન માનો હોલી હૈ ના નાદ સાથે સમગ્ર શહેરમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. ગિરનારની તળેટીથી લઈને શહેરના મુખ્ય ચોક સુધી દરેક ખૂણે અબીલ-ગુલાલની ડમરીઓ ઉડતી જોવા મળી હતી. ​યુવાશક્તિનો થનગનાટ અને ડીજેના તાલે ગરબા ​જૂનાગઢના યુવાનો મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. ઠેર-ઠેર ડીજેના તાલે યુવાધધન હિલોળે ચડ્યું હતું. આધુનિક ગીતો અને દેશભક્તિના ગીતો વચ્ચે ગુજરાતીઓની શાન સમા 'ગરબા'ની રમઝટ પણ બોલાવવામાં આવી હતી. ખાસ કરીને મહિલા મંડળોએ સોસાયટીઓમાં એકઠા થઈને પરંપરાગત ગરબા ગાઈને ધુળેટીના પર્વને સાંસ્કૃતિક ઓપ આપ્યો હતો. યુવાનોમાં સેલ્ફી લેવાનો અને એકબીજા પર રંગો છાંટવાનો અદભૂત ક્રેઝ જોવા મળ્યો હતો. ​બાળકોની મોજ અને રંગોના ફુવારા ​નાના ભૂલકાઓએ પિચકારીઓ અને રંગબેરંગી ફુગ્ગાઓ સાથે આ પર્વની મજા માણી હતી. શહેરના અનેક વિસ્તારોમાં આયોજકો દ્વારા 'રેઈન ડાન્સ' અને પાણીના ફુવારાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી. ક્યાંક કુત્રિમ હોજ બનાવીને તો ક્યાંક હોઝ પાઈપ વડે પાણીની છોળો ઉડાડીને લોકોએ ગરમીની વચ્ચે ઠંડકનો અહેસાસ કર્યો હતો. બાળકોના ચહેરા પર છવાયેલા ગુલાબી અને વાદળી રંગોએ ઉત્સવની રોનક વધારી દીધી હતી. ​સિંધી સમાજની વિશિષ્ટ પરંપરા અને સ્વાદિષ્ટ ભોજન ​આ ઉજવણીમાં સિંધી સમાજનો પણ વિશેષ ફાળો રહ્યો હતો. સિંધી સમાજના અગ્રણી કાળુભાઈ સુખવાણીએ જણાવ્યું હતું કે આજે સિંધી સમાજના તમામ લોકો એકઠા થઈને પરંપરાગત રીતે રંગોના પર્વની ઉજવણી કરી રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, સિંધી સમાજમાં આ દિવસે ખાસ પ્રકારના સ્વાદિષ્ટ મિષ્ટાન્ન અને ગરમાગરમ ગાંઠિયાનું વિતરણ કરવામાં આવે છે. પરસ્પર ભાઈચારો વધે તેવા હેતુ સાથે સિંધી પરિવારોએ એકબીજાને ગુલાલ લગાવી મોઢું મીઠું કરાવીને આ પર્વની અનોખી ઉજવણી કરી હતી. ​ભક્તિ અને શક્તિનો સંગમ: 'હર હર મહાદેવ'નો નાદ ​જૂનાગઢ એટલે શિવની ભૂમિ. ધુળેટીના રંગો વચ્ચે પણ ભક્તિનો પ્રવાહ વહેતો રહ્યો હતો. અનેક જગ્યાએ યુવાનોના ટોળાઓમાં 'હર હર મહાદેવ'ના જયઘોષ ગુંજી ઉઠ્યા હતા. રંગોત્સવ દરમિયાન શિવ ભક્તિનો આ સંગમ જૂનાગઢની સંસ્કૃતિની ઓળખ આપતો હતો. લોકોએ પરંપરાગત પૂજા-અર્ચના બાદ ગુલાલથી મહાદેવને પણ રંગ્યા હતા. ​પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને શાંતિપૂર્ણ વાતાવરણ ​કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જૂનાગઢ પોલીસ તંત્ર દ્વારા સવારથી જ કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું પેટ્રોલિંગ સતત ચાલુ રહ્યું હતું. પોલીસના આ ચુસ્ત બંદોબસ્તને કારણે સમગ્ર શહેરમાં શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં રંગોત્સવની ઉજવણી સંપન્ન થઈ હતી. લોકોએ પણ સ્વયંભૂ શિસ્ત જાળવીને પોલીસ તંત્રને સહકાર આપ્યો હતો.​આમ, જૂનાગઢમાં ધુળેટીનો તહેવાર માત્ર રંગોનો ઉત્સવ જ નહીં, પરંતુ ભાઈચારો, સંસ્કૃતિ અને આનંદનો ત્રિવેણી સંગમ બની રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 1:37 pm

ધૂળેટી પર્વે પદ્મનાભ મંદિરમાં ત્રિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા:ચંદ્રગ્રહણ બાદ પક્ષાલન, મહાઆરતી, ધ્વજારોહણ અને કુમકુમ હોળી ઉત્સવ મનાવાયો

ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે શ્રી પદ્મનાભ મંદિર પરિસર, શ્રી સમેળા માતાજી મંદિર અને શ્રી ચામુંડા માતાજી મંદિર ખાતે ત્રિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ચંદ્રગ્રહણ પૂર્ણ થયા બાદ આ ઉત્સવો ઉજવાયા હતા. સવારે 6:00 કલાકે પક્ષાલન વિધિ સાથે કાર્યક્રમોનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ સવારે 7:00 કલાકે મહાઆરતી કરવામાં આવી અને સવારે 8:00 કલાકે મંદિરના શિખર પર ધ્વજાદંડ ચડાવવાની વિધિ સંપન્ન થઈ હતી. આ પ્રસંગે શ્રી પદ્મનાભ ભગવાન વાડી પરિસરમાં તિલક હોળીનો ઉત્સવ પણ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. આ ધાર્મિક પ્રસંગે શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામી સહિત ટ્રસ્ટીઓ અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ જળવાઈ રહે તેવી પ્રાર્થના સાથે વિશ્વ કલ્યાણની કામના વ્યક્ત કરી હતી. ધૂળેટી પર્વ નિમિત્તે આયોજિત આ ત્રિવિધ ધાર્મિક કાર્યક્રમમાં સ્વામી પરિવારના પ્રમુખ શાંતિભાઈ સ્વામી, ચામુંડા મંડળના ધવલભાઈ ઓતિયા, હરદેવજી મંદિરના સેવક મહેશભાઈ પ્રજાપતિ, પ્રજાપતિ યુથ ક્લબના મુકેશભાઈ પ્રજાપતિ સહિત ખન્નાભાઈ, વિજયભાઈ, ડી.કે., વિજયભાઈ, મહેશભાઈ, રાજુભાઈ, કનુભાઈ, મંદિરના પૂજારીઓ અને સમાજના અન્ય આગેવાનોએ હાજરી આપી પ્રસંગને શોભાવ્યો હતો. આ પ્રસંગે પીપીએલ ગ્રુપ દ્વારા પદ્મનાભ મંદિર પરિસરના હારિયામાં આવેલા આંબલીના વૃક્ષની સુરક્ષા માટે બનાવેલા ઓટલાના દાતા તરીકે રૂ. 11,000/- નો ચેક શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામીને અર્પણ કરવામાં આવ્યો હતો. શ્રી પદ્મનાભ મંદિર ખાતે આયોજિત આ ધાર્મિક ઉત્સવોને શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી સફળ બનાવ્યા હતા અને શ્રી પદ્મનાભ ભગવાનના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 1:30 pm

લોકસભાના દંડક ધવલ પટેલના નિવાસસ્થાને ધુળેટીની ધૂમ:DJના તાલે હોદ્દેદારો અને કાર્યકરો મનમૂકીને ઝૂમ્યા

વલસાડ શહેરના અબ્રામા ખાતે લોકસભાના દંડક ધવલ પટેલના નિવાસસ્થાને હોળી-ધુળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉજવણી દરમિયાન ડીજેના તાલે ગીતો ગુંજી ઉઠ્યા હતા, જેના પર કાર્યકરો ઉત્સાહભેર ઝૂમ્યા હતા. સમર્થકો અને કાર્યકરોએ એકબીજાને ગુલાલ લગાવી મોં મીઠું કરાવી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી, જેનાથી વાતાવરણ આનંદમય બન્યું હતું. ધવલ પટેલે પોતે કાર્યકરો સાથે રંગે રમીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ તહેવાર ભાઈચારા અને સંપનો છે. આજે તમામ કાર્યકરો અને મિત્રો સાથે મળીને આ પર્વની ઉજવણી કરી ખૂબ આનંદ થયો છે. આ ઉજવણીમાં ભાજપ સંગઠનના હોદ્દેદારો અને સ્થાનિક અગ્રણીઓની નોંધપાત્ર હાજરી જોવા મળી હતી. હાઈ-વોલ્ટેજ ડીજે સિસ્ટમ પર દેશભક્તિ અને ઉત્સવના ગીતોની રમઝટ બોલી હતી. યુવા કાર્યકરોમાં ધવલ પટેલ સાથે સેલ્ફી લેવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 1:30 pm

તલોદમાં પોલીસ ચોકી બહાર બે કારમાં આગ:મધરાત્રે શોર્ટ સર્કિટથી આગ, ફાયર ટીમે બુઝાવી

સાબરકાંઠા જિલ્લાના તલોદમાં અંબાજી મંદિર ચોક પાસે આવેલા જૂના પોલીસ સ્ટેશન બહાર પાર્ક કરેલી બે કારમાં મધરાત્રે આગ લાગી હતી. પ્રાથમિક તપાસ મુજબ, શોર્ટ સર્કિટના કારણે એક કારમાં આગ લાગી હતી, જેણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની લપેટમાં બીજી કાર પણ આવી ગઈ હતી, જેના કારણે બંને કાર ભડભડ સળગી ઉઠી હતી. આ ઘટનામાં એક કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી, જ્યારે બીજી કારનો પાછળનો ભાગ બળી ગયો હતો. તલોદ ફાયર વિભાગને જાણ થતાં જ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી અને સંપૂર્ણપણે બુઝાવી દીધી હતી. ફાયર ટીમને પહોંચવામાં સમય લાગતા આગ એક કારમાંથી બીજી કારમાં પ્રસરી હતી. તલોદ પોલીસ સ્ટેશનના PI સી.જી. રાઠોડે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ગત રાત્રે 12 વાગ્યા બાદ અંબાજી મંદિર ચોકમાં જૂના પોલીસ સ્ટેશન બહાર એક ASIની કારમાં આગ લાગી હતી, જેની બાજુમાં અન્ય એક કાર પણ આગની ઝપેટમાં આવી હતી. આ અંગે તલોદ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 1:17 pm

પ્રશાસક પ્રફુલ પટેલે હિંમતનગરમાં ધૂળેટીની ઉજવણી કરી:પરિવાર અને સ્થાનિક બાળકો સાથે રંગોત્સવ માણ્યો

પ્રશાસક પ્રફુલ પટેલે આજે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં હોળી-ધૂળેટીના તહેવારની ઉજવણી કરી. તેમણે પરિવારજનો અને સ્થાનિક બાળકો સાથે રંગોત્સવ માણ્યો હતો. પટેલે બાળકોને રંગોથી રંગી અને ચાંદલા કરીને પરંપરાગત રીતે હોળીની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્થાનિક નાગરિકો પણ પ્રશાસક સાથે હોળી રમવામાં જોડાયા હતા, જેનાથી તહેવારની ખુશીઓ વહેંચાઈ હતી. આ રંગોના ઉત્સવે સૌમાં ઉમંગ ભરી દીધો હતો.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 1:12 pm

ગોહિલવાડમાં ફાગણીયા પર્વ શૃંખલામાં ધુળેટી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ:રંગોત્સવના મહાપર્વ સાથે ત્રિ- દિવસીય ફાગ ફેસ્ટિવલનું સમાપન થશે, રૂપાણી સર્કલ ખાતે ભાવેણાવાસીઓ ડીજેના સથવારે હિલોળે ચડ્યા

ફાગોત્સવના ત્રિ દિવસીય પ્રર્વ શૃંખલામાં આજરોજ અંતિમ પર્વ કલરફુલ ફેસ્ટિવલ ધુળેટી ની ઉજવણી કરવામાં આવી હતી, રંગ ગુલાલની છોળો વચ્ચે એકબીજાને હેતથી કલર વડે રોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આજરોજ હિન્દૂ સંગઠન દ્વારા શહેરના આતાભાઇ ચોક ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર દેશ રાજ્ય સાથે સાથે ભાવનગર શહેર જિલ્લામાં આજે આગળ માસના ત્રણ પર્વ એટલે કે ફાગ ફેસ્ટિવલ ના અંતિમ પર્વ ધુળેટી પર્વની આજરોજ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી, બાળકો યુવાનો નો મનપસંદ પર્વ એટલે ધુળેટી પર્વ દર વર્ષે મન દુઃખ ભેદભાવ અને આપસી ખટરાગ ભૂલીને એકબીજાને કલર વડે રંગી રોળી આ પર્વની ઉજવણી કરવામાં આવે છે, આપણે ત્યાં તમામ પ્રકારના તહેવારો એક અલગ પ્રકારના ઠાઠથી ઉજવવામાં આવે છે ત્યારે કલરફુલ ફેસ્ટિવલની ઉજવણી અંતર્ગત તૈયારીઓ દિવસો પૂર્વેથી શરૂ થઈ જાય છે, મોટાભાગે ગ્રુપમાં ઉજવાતા આ પર્વની ઉજવણી રમણીય નેચરલ સ્થળોએ જઈને ઉજવવાનો ક્રેઝ છેલ્લા કેટલાક સમયથી ટ્રેન્ડમાં આવ્યો છે, ભાવનગર જિલ્લામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલ ખાનગી રિસોર્ટ તથા ધાર્મિક સ્થળોએ લોકો પરિવાર સાથે પહોંચીને ધુળેટી પર્વની ઉજવણી કરતા હોય છે ત્યારે ધુળેટી ની પૂર્વ સંધ્યાએ બજારમાં કલર પિચકારી સહિતની ચીજ વસ્તુઓ ખરીદવા લોકોએ ભારે ભીડ જમાવી હતી. વહેલી સવારથી જ લોકો પોતપોતાના સગા સંબંધીઓ તથા મિત્રોના ગ્રુપ સાથે જુદા જુદા સ્થળોએ પહોંચી ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી, આ સાથે જ ત્રિ- દિવસીય કલરફુલ ફેસ્ટિવલ નું સમાપન પણ થશે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 1:10 pm

અમરેલીમાં મંત્રી કૌશિક વેકરિયાએ નાગરિકો સાથે ધુળેટી રમી:સાંસદ, ભાજપ પ્રમુખ પણ જોડાયા; મતભેદ ભૂલી ઉજવણીની અપીલ કરી

અમરેલી શહેરમાં ધુળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં રાજ્યના ઉર્જા પ્રધાન કૌશિક વેકરિયા, સાંસદ ભરત સુતરિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી સહિતના રાજકીય આગેવાનો નાગરિકો સાથે રંગે રમ્યા હતા. શહેરના ગણેશ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો અને તેમના પરિવારો જોડાયા હતા. ડીજે અને ઢોલના તાલે સૌએ એકબીજા પર રંગ ઉડાવી આનંદ વ્યક્ત કર્યો હતો. નાગરિકોએ મંત્રી કૌશિક વેકરિયાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મંત્રી કૌશિક વેકરિયાએ સૌને ધુળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ધુળેટીનો તહેવાર સૌએ પરિવાર સાથે ઉજવવો જોઈએ. તેમણે દરેકના જીવનમાં રંગોત્સવ બની રહે તેવી નાગનાથદાદાને પ્રાર્થના કરી હતી અને મતભેદ દૂર કરી ઉજવણી કરવા અપીલ કરી હતી. આ ઉજવણીમાં મંત્રી કૌશિક વેકરિયા ઉપરાંત સાંસદ ભરત સુતરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી તેમજ પક્ષના અન્ય હોદ્દેદારો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 12:55 pm

હનીટ્રેપ કેસ, 23.75 લાખ રોકડ જપ્ત:ફરાર 2 મુખ્ય આરોપી ઝડપાયા, કુલ 95.50 લાખનો મુદ્દામાલ રિકવર

સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલા હનીટ્રેપ કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં અગાઉ એક મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમની પાસેથી 72 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. જોકે, આ ઘટનાના મુખ્ય સૂત્રધાર અરબાઝ ખાન હયાત ખાન મલેક અને અમન ખાન મહેબૂબખાન મલેક (રહે. ઈંગરોડી) ફરાર હતા. સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી આ બંને ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી 23.75 લાખ રૂપિયા રોકડા, 40,000 રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન અને 5 લાખ રૂપિયાની બ્રેઝા ગાડી જપ્ત કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 95.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે. પ્રાથમિક તપાસ મુજબ, ભોગ બનનાર યુવકને તમંચાની અણીએ ધમકાવીને એક કરોડ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આ ઘટના બાદ યુવકે ફરિયાદ નોંધાવવામાં ખચકાટ અનુભવ્યો હતો. પોલીસે યુવકને સમજાવીને તેની ગુપ્તતા જાળવવાની ખાતરી આપી હતી, ત્યારબાદ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે લોકોને અપીલ કરી છે કે, જો કોઈ વ્યક્તિ હનીટ્રેપ કે અન્ય ગંભીર ગુનાનો ભોગ બને તો અંગત રીતે પોલીસ અધિકારીઓને જાણ કરે. ભોગ બનનારની ગુપ્તતા જાળવી રાખીને તેમને ન્યાય અપાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 12:52 pm

વેરાવળમાં રોટરી ક્લબે પરિવાર સાથે ધૂળેટી ઉજવી:યુવાનોમાં ઉત્સાહ, કુદરતી રંગોનો ઉપયોગ કરવા અપીલ

ગીર સોમનાથ જિલ્લામાં ધૂળેટી પર્વની શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ રંગોની રમઝટ જોવા મળી હતી. બાળકો પિચકારી અને રંગો સાથે ગલીઓમાં ઉમટી પડ્યા હતા, જ્યારે યુવાનો ડીજેના તાલે રંગોત્સવનો આનંદ માણતા જોવા મળ્યા. વેરાવળ શહેરમાં રોટરી ક્લબ ઓફ વેરાવળ દ્વારા પરિવાર સાથે ખાસ ધૂળેટી મહોત્સવનું આયોજન કરાયું હતું. ક્લબના સભ્યો અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પરસ્પર શુભેચ્છાઓ સાથે થઈ, ત્યારબાદ સૌએ અબીલ-ગુલાલથી રંગોત્સવની મજા માણી. આ ઉજવણીમાં પરિવાર અને મિત્રતાના બંધનોને મજબૂત બનાવવાનો સંદેશ પણ હતો. બાળકો માટે રમૂજી સ્પર્ધાઓ, સંગીત અને નૃત્યની વ્યવસ્થા કરવામાં આવી હતી. મહિલાઓએ પણ પરંપરાગત વસ્ત્રોમાં સજીધજીને ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે પર્યાવરણને અનુકૂળ કુદરતી રંગોના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. તહેવારની ઉજવણી આનંદમય રહે તે સાથે સુરક્ષિત અને સ્વસ્થ રહે તે માટે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અને કેમિકલ રહિત રંગો વાપરવા અપીલ કરાઈ હતી. જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ લોકોએ ભાઈચારા અને એકતાના ભાવ સાથે ધૂળેટીની ઉજવણી કરી. ઘરોમાં મીઠાઈઓ વહેંચવામાં આવી અને શુભેચ્છાઓની આપ-લે થઈ, જેનાથી સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 12:37 pm

દંપતીને અંધશ્રદ્ધાની જાળમાં ફસાવી 20.62 લાખ પડાવી લીધા:ગાંધીનગરમાં વિધિના બહાને ડબ્બામાં પથ્થર પધરાવી દીધા, સંતાન પ્રાપ્તિની લાલચમાં અંધશ્રદ્ધાનો ખેલ

ગાંધીનગરના પેથાપુર પોલીસ મથકની હદમાં આવતા ટીંટોડા ગામના એક દંપતીને સંતાન પ્રાપ્તિની ઘેલછામાં અંધશ્રદ્ધાની જાળમાં ફસાવી 20.62 લાખ રૂપિયા પડાવી લેવાનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ સમગ્ર મામલે પત્નીના જ સગા કાકા અને અન્ય એક ભુવા સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભૂવાએ સંતાન પ્રાપ્તીની લાલચ આપી ને ફસાયાગાંધીનગરના ટીંટોડા ગામમાં રહેતા 25 વર્ષીય યુવાનના લગ્ન આજથી પાંચેક વર્ષ અગાઉ કોલવડાની યુવતી સાથે સમાજના રીત રીવાજ મુજબ થયા હતાં. લગ્ન બાદ બંન્ને પતિ પત્ની ટીંટોડા ખાતે રહેતા હતાં. જોકે લગ્ન જીવનમાં સંતાન સુખ પ્રાપ્ત નહીં થતા દંપતીએ ઘણા ડોક્ટરોની દવા કરાવી હતી. તેમ છતા પરણિતાને પ્રેગ્નેન્સી રહેતી ન હતી. આથી તેણીના કાકા આનંદજી ધુળાજી ઠાકોર (રહે, ઢોલાવાળો વાસ કોલવડા ) ભુવો હોવાથી પતિ પત્ની તેના ઘરે એકાદ વર્ષથી માતાજીના દર્શન કરવાં જતું હતું. આ બાબતનો ફાયદો ઉઠાવી કાકાજી સસરા સંતાન પ્રાપ્તીની લાલચ આપી હિંમતનગરના જેતોલ ગામના ભુવા ગેમરભાઈ રબારીનો સંપર્ક કરાવ્યો હતો. એ વખતે ગેમર ભુવાએ બાધા આપી સો ટકા સંતાન પ્રાપ્ત થવાની બાંહેધરી આપી હતી. ડબ્બામાં ચોખા મુકી તેમાં દાગીના લઈ આવવાનું દંપતીને કહ્યુંબાદમાં દંપતી દર રવિવારે સંતાન સુખની આશાએ ગેમર ભુવાને ત્યાં મંદિરે દર્શન કરવા જતા હતાં. તો ભુવો ગેમર દંપતીના ઘરે અવરનવાર પધરામણી કરવા જતો ત્યારે દંપતી પધરામણી પેટે રોકડા રૂ. 10થી 15 હજાર આપતા હતાં. ત્યારે એક દિવસ કાકા સસરા આનંદ ઠાકોરે ગેમરભુવાના કહેવા મુજબ ઘરમાં નડતર હોવાથી વિધિ કરાવાનું કહી એક ડબ્બામાં ચોખા મુકી તેમાં દાગીના લઈ આવવાનું કહ્યું હતું. અંદાજે એક વર્ષ આસપાસ અનેકવાર વિધિઓ કરાવીએટલે કાકા સસરાની વાતમાં આવી દંપતીએ ઘરેથી પ્રથમ વખતે એક ડબ્બામાં ચોખા મુકી તેમા ચાંદીના કલ્લા તથા ચાંદીની કાંબીઓ વિધિ માટે આપી દીધી હતી. આમ સંતાનની લાલચમાં આવીને દંપતીએ ગત જાન્યુઆરી 2025થી સપ્ટેમ્બર 2025 દરમિયાન અનેકવાર વિધિઓ કરાવી હતી. 6 લાખ રોકડા અને 14.62 લાખના સોના ચાંદીના દાગીના પડાવ્યાઆ દરમિયાન બંને ભુવાઓ ઘરે જઈને વિધિના બહાને દંપતીની આંખો બંધ કરાવી દેતા હતા. ત્યારબાદ સોનાચાંદીના દાગીના અને રોકડ રકમ ચોખા ભરેલા ડબ્બામાં મુકાવી તેના પર રૂમાલ બાંધી ઘરના માળિયા પર મુકાવી દેતા હતાં. ભુવાઓએ એવી ગર્ભિત સૂચના આપી હતી કે જ્યાં સુધી માતાજી રજા ન આપે ત્યાં સુધી આ ડબ્બા ખોલવા નહીં. જેથી અલગ અલગ દિવસોએ વિધિના બહાને કુલ 14.62 લાખના સોના ચાંદીના દાગીના તેમજ છ લાખ રોકડા મળીને કુલ રૂ.20.62 લાખની મત્તા ડબ્બાઓમાં માળિયે મૂકી દીધી હતી. ઘરેથી ભાગી જતા દંપતીને શંકા ગઈ ને ભાંડો ફૂટ્યોજોકે સમય જતાં જ્યારે આનંદજી ઠાકોરે અન્ય લોકો સાથે છેતરપિંડી કરી હોવાની વાત વહેતી થઈ અને તે ઘરેથી ભાગી જતા દંપતીને શંકા ગઈ હતી. ત્યારે બધા ડબ્બા ખોલી જોતા તેમા મુકેલા દાગીના અને રોકડા ગાયબ હતાં. અને દર દાગીનાની જગ્યાએ ચોખા તથા પથ્થરો જ મળી આવ્યા હતાં. 20.62 લાખનું ફુલેકું ફેરવીને ફરારઆમ ભુવાઓએ વિધિના બહાને 6 લાખ રૂપિયા રોકડા, 9 લાખની કિંમતના 6.5 તોલા સોનાના દાગીના અને 5.62 લાખની કિંમતના 2 કિલો 80 ગ્રામ ચાંદીના દાગીના મળી કુલ 20.62 લાખનું ફુલેકું ફેરવવામાં આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 12:35 pm

મહેસાણામાં વાહનની ટક્કરે અમદાવાદના દંપતીનું અકસ્માત:પત્નીનું સારવાર દરમિયાન મોત, એક્ટિવા લઈને વતન જતા હતા ને કાળ ભેટ્યો

હોળીના તહેવાર નિમિત્તે અમદાવાદથી પોતાના વતન ડીસા જઈ રહેલા પંચાલ પરિવારને મહેસાણા નજીક કાળભેટો થઈ ગયો હતો. હરદેસણ ચોકડી પાસે એક અજાણ્યા વાહન ચાલકે મોપેડને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈજાગ્રસ્ત પત્નીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. વાહનની ટક્કરે અમદાવાદના દંપતીનું અકસ્માતઅમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા પ્રહલાદભાઈ બાબુભાઈ પંચાલ (ઉ.વ. 53) મંગળવારે સવારે પોતાની પત્ની ભાવનાબેન (ઉ.વ. 43) સાથે એક્ટિવા GJ-27-DW-8519 પર સવાર થઈને પોતાના વતન સમોમોટા (તા. ડીસા, જિ. બનાસકાંઠા) જવા નીકળ્યા હતાં. સવારે આશરે નવેક વાગ્યાના સુમારે જ્યારે તેઓ મહેસાણાના પાંચોટ બાયપાસ સર્કલથી હરદેસણ ચોકડી વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરઝડપે આવેલા એક અજાણ્યા વાહન ચાલકે તેમના મોપેડને જોરદાર ટક્કર મારી હતી. બંનેને ગંભીર ઈજા ને પત્નીનું સારવાર દરમિયાન મોતઆ અકસ્માતમાં દંપતી રોડ પર પટકાતા બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતા બંનેને પ્રથમ મહેસાણા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતાં. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ભાવનાબેન પંચાલનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે પ્રહલાદભાઈને સારવાર બાદ રજા આપવામાં આવી છે. તાલુકા પોલીસે ગુનો નોંધ્યોબનાવ અંગે પ્રહલાદભાઈ પંચાલે મહેસાણા તાલુકા પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 12:20 pm

રિવરફ્રન્ટ આધ્યાત્મિકતાના રંગે રંગાયો:ગુરુદેવ બાપજીના 93માં પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી, રિવરફ્રન્ટ પર 50,000 હરિભક્તો હાજર રહેશે

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે એક અલૌકિક અને દિવ્ય વાતાવરણ સર્જાવા જઈ રહ્યું છે. SMVS સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના 93માં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ભવ્ય મહોત્સવ સાબરમતીના કાંઠે એક આધ્યાત્મિક મહામેળાનું સ્વરૂપ ધારણ કર્યું, જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. 50,000થી વધુ શ્રદ્ધાળુઓનું મહાસંમેલનઆજે સાંજે 4.30 થી 8.30 વાગ્યા દરમિયાન યોજાનાર આ મહોત્સવમાં માત્ર ગુજરાત કે ભારત જ નહીં, પરંતુ વિદેશોમાંથી પણ હરિભક્તો ખાસ ઉપસ્થિત રહેશે. અંદાજે 50,000થી વધુ હરિભક્તોની જનમેદની વચ્ચે ગુરુદેવ બાપજીના જીવન અને કાર્યોની સ્મૃતિ કરવામાં આવશે. રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલ વિશાળ પરિસરને દિવ્યતા અને ભવ્યતા સાથે શણગારવામાં આવ્યું છે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સત્ય સંકલ્પ દાસજીસ્વામી અને મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમહોત્સવની ગરિમા વધારવા માટે SMVSના વર્તમાન ગુરુજી સત્ય સંકલ્પ દાસજીસ્વામી આશીર્વચન પાઠવશે. તેમના દિવ્ય દર્શનનો લાભ લેવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત, રાજ્યના મુખ્યમંત્રી પણ આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહીને ગુરુદેવ બાપજી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરશે. રાજકીય અને સામાજિક અગ્રણીઓની હાજરી આ ઉત્સવને વધુ પ્રતિષ્ઠિત બનાવશે. 'એક આદર્શ શિલ્પી' થીમ પર સાંસ્કૃતિક પ્રસ્તુતિઆજના આ વિશેષ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ તેની થીમ છે. સાબરમતીના કાંઠે એક આદર્શ શિલ્પી થીમ પર આધારિત વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. ગુરુદેવ બાપજીએ જે રીતે સમાજ અને યુવાધનને આધ્યાત્મિક માર્ગે વાળીને એક આદર્શ ચરિત્રનું ઘડતર કર્યું છે, તેની ઝાંખી આ થીમ દ્વારા કરાવવામાં આવશે. પ્રાગટ્ય મહોત્સવમાં ભજન, ધૂન અને પ્રેરક પ્રવચનો દ્વારા ભક્તિમય માહોલ ઊભો કરવામાં આવશે. તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાછેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી તડામાર તૈયારીઓ હવે પૂર્ણ થઈ છે. રિવરફ્રન્ટના વિશાળ મેદાનમાં બેઠક વ્યવસ્થા, પાર્કિંગ અને ભક્તો માટેની પાયાની સુવિધાઓનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. સ્વયંસેવકોની મોટી ટીમ વ્યવસ્થા જાળવવા માટે તૈનાત છે. સાબરમતીના શાંત વહેણ સાથે ગુંજતો ભક્તિનાદ અમદાવાદવાસીઓ માટે એક યાદગાર સંભારણું બની રહેશે. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના પ્રાગટ્યદિન નિમિત્તે SMVS ના ભક્તો દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 12:11 pm