SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
... ...View News by News Source

'મારા બાળકોને સાચવજો, સાસુ-પત્નીથી ત્રાસીને હું હવે જાઉ છું':વીડિયો કોલ પર પરિવારની નજર સામે યુવકે કેનાલમાં ઝંપલાવ્યું, પત્નીની જીદના કારણે 5 વર્ષથી સાસરીમાં રહેતો હતો

ગાંધીનગરના સાંતેજ પોલીસ મથકના ચોપડે એક હૃદયદ્રાવક ઘટના નોંધાઈ છે. જેમાં સાસરી પક્ષના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને એક 42 વર્ષીય યુવકે પોતાના જ ભાઈને વીડિયો કોલ કરી આપવીતી જણાવી કેનાલમાં મોતની છલાંગ લગાવી દીધી હતી. આ મામલે મૃતકના નાના ભાઈએ સાંતેજ પોલીસ સ્ટેશનમાં પત્ની, સાસુ, બે સાળીઓ અને બે સાળાઓ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. સમાજમાં ઘરકંકાસ અને સાસરી પક્ષના માનસિક ત્રાસના કિસ્સાઓ દિન-પ્રતિદિન ભયાનક વળાંક લઈ રહ્યા છે. આવો જ એક હૃદયદ્રાવક કિસ્સો અડાલજ નજીક ઝુંડાલ કેનાલ પર પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પત્ની અને સાસરી પક્ષના સતત ટોર્ચરથી કંટાળીને એક 42 વર્ષીય યુવકે પોતાના પરિવારને વીડિયો કોલ કરી તેમની નજર સામે જ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. પત્નીની જીદને કારણે 5 વર્ષથી ઘર છોડીને સાસરીમાં રહેતા હતાફરિયાદની વિગતો મુજબ, મૂળ વિસનગરના રાલીસણા ગામના વતની અને હાલ અમદાવાદના ચેનપુર વિસ્તારમાં રહેતા રાહુલભાઈ દલપતભાઈ રાવતે તેમના મોટા ભાઈ લક્ષ્મણભાઈ પરમાર (ઉં.વ. 42) ના મોતના મામલે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ લક્ષ્મણભાઈના લગ્ન વર્ષ 2011માં રાલીસણા ગામની જ સુમિત્રાબેન સાથે થયા હતા. લગ્ન બાદ થોડો સમય બધું બરાબર ચાલ્યું હતું. પરંતુ ત્યારબાદ સુમિત્રાબેન નાની-નાની બાબતોમાં ઝઘડા કરી અલગ રહેવા માટે દબાણ કરતા હતા. પત્નીની જીદને કારણે લક્ષ્મણભાઈ છેલ્લા 5 વર્ષથી ઘર છોડીને રાલીસણા ખાતે પોતાની સાસરીમાં જ રહેવા ગયા હતા. જોકે, લક્ષ્મણભાઈ જ્યારે પણ પોતાના વતનના પરિવાર કે ભાઈઓને મળતા ત્યારે પોતાની વ્યથા ઠાલવતા હતા. તેમણે પરિવારને જણાવ્યું હતું કે, સાસરીમાં રહેવા છતાં પત્ની સુમિત્રાબેન અને સાસુ નર્મદાબેન તેમને શાંતિથી રહેવા દેતા નથી. અવારનવાર પૈસાની માંગણી કરી તેમને હેરાન કરવામાં આવતા હતા. જો તેઓ પૈસા ન આપે તો તેમને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવતા હતા. હું હવે થાકી ગયો છું, મારા સાસુ અને પત્ની મને જીવવા દેતા નથીગત તારીખ 23 ડિસેમ્બર, 2025ના રોજ આ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો. લક્ષ્મણભાઈએ સવારે તેમના ભાઈને ફોન કરીને રડતા-રડતા જણાવ્યું હતું કે, પત્ની અને સાસુએ પૈસા માટે ઝઘડો કર્યો છે. ફક્ત એટલું જ નહીં સાસરી પક્ષે તેમની સાળીઓ ઉર્મિલાબેન અને ગીતાબેન તેમજ રાજગઢથી બે કુટુંબી સાળાઓને બોલાવીને લક્ષ્મણભાઈ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને તેમને ગડદાપાટુનો માર માર્યો હતો. સાસરિયાઓએ ધમકી આપી હતી કે, જો તું પૈસા નહીં આપે તો તને તારા બાળકો પણ જોવા નહીં દઈએ. આ શારીરિક અને માનસિક ત્રાસ સહન ન થતા લક્ષ્મણભાઈ રાત્રિના સમયે અડાલજ નજીક ઝુંડાલ કેનાલ પાસે પહોંચ્યા હતા. તેમણે ત્યાંથી પોતાના ભાઈને વીડિયો કોલ કર્યો હતો. વીડિયો કોલમાં તેમણે કરુણતા સાથે જણાવ્યું હતું કે, હું હવે થાકી ગયો છું, મારા સાસુ અને પત્ની મને જીવવા દેતા નથી. હું આ ડગલું ભરી રહ્યો છું, મારા બાળકોને તમે સાચવજો. બે કુટુંબી સાળાઓ સહિત કુલ 6 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈજેના પગલે પરિવારજનો તેમને શોધવા માટે કેનાલ દોડી ગયા હતા. દરમ્યાન રાત્રિના અંધકારમાં મોબાઇલની લાઇટ દૂરથી દેખાઈ રહી હતી. પરંતુ પરિવારજનો મોબાઇલ લાઈટના અજવાળા તરફ પહોંચ્યા જ હતા ને લક્ષ્મણભાઈએ મોતની છલાંગ લગાવી દીધી હતી. જેમની લાશ સાંતેજ પોલીસ મથકની હદમાંથી મળી આવી હતી. આ ઘટના બાદ મૃતકના ભાઈની ફરિયાદને આધારે સાંતેજ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે પત્ની સુમિત્રાબેન, સાસુ નર્મદાબેન, સાળી ઉર્મિલાબેન, સાળી ગીતાબેન અને રાજગઢના બે કુટુંબી સાળાઓ સહિત કુલ 6 શખ્સો વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા હેઠળ ઝીરો નંબરથી ગુનો દાખલ કરી વધુ તપાસ વિસનગર પોલીસ તરફે મોકલી આપી છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 9:10 pm

​જૂનાગઢમાં બંગલા ગેંગના સાગરીતો હથિયારો સાથે ઝડપાયા:​પોલીસે સરગવાડામાં 5 હથિયાર અને 96 કારતૂસ સાથે રેડ પાડી 3 સાગરીતોની ધરપકડ, 4 ફરાર

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સંગઠિત ગુનાખોરી અને માથાભારે તત્વોના અસ્તિત્વને જડમૂળથી નાશ કરવા માટે પોલીસ તંત્ર દ્વારા એક વિશેષ મિશન ચલાવવામાં આવી રહ્યું છે. આ કામગીરીના ભાગરૂપે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને લાંબો ગુનાહિત ઈતિહાસ ધરાવતી કુખ્યાત બંગલા ગેંગના પાંચ સભ્યો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કડક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગેંગના સભ્યો લાંબા સમયથી પોલીસને થાપ આપી નાસતા ફરતા હતા પરંતુ, જૂનાગઢ તાલુકા પોલીસે બાતમીના આધારે આ ગેંગના ત્રણ મહત્વના સાગરીતોને ઘાતક હથિયારોના મોટા જથ્થા સાથે ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. બંગલા ગેંગના ફરાર આરોપીઓ અંગે ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી​આ ગેંગના અસ્તિત્વને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ કે.એમ. પટેલ દ્વારા પાંચેય આરોપીઓના ગુનાહિત ઈતિહાસની ઊંડી તપાસ કરીને મજબૂત પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા હતા. આ તપાસ બાદ એક વિગતવાર રિપોર્ટ તૈયાર કરી જૂનાગઢ વિભાગના પોલીસ મહાનિરીક્ષક પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો. રેન્જ આઈ.જી. નિલેશ જાજડિયા અને એસ.પી. સુબોધ ઓડેદરાના સીધા માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા ગુનેગારોને પકડવા માટે તાલુકા પોલીસ પી.આઈ. એફ.બી. ગગનીયા અને તેમની ટીમ સતત પેટ્રોલીંગ અને સર્વેલન્સમાં હતી. આ દરમિયાન પોલીસને સચોટ માહિતી મળી હતી કે, બંગલા ગેંગના ફરાર આરોપીઓ સરગવાડા ગામે કમલેશ લખમણ ભારાઈના રહેણાંક મકાનમાં આશરો લઈ રહ્યા છે. પોલીસે દરોડા દરમિયાન સમયસૂચકતા વાપરીને ત્રણ આરોપીઓને દબોચ્યા​બાતમી મળતાની સાથે જ પોલીસ સ્ટાફે સરગવાડા સ્થિત મકાન પર દરોડો પાડ્યો હતો. પોલીસની તપાસમાં એક ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે, આરોપીઓએ પોલીસ ધરપકડથી બચવા માટે અગાઉથી જ ઘાતક હથિયારોનો જથ્થો મંગાવી રાખ્યો હતો. પૂછપરછમાં એ વાતનો ખુલાસો થયો છે કે, જ્યારે પણ પોલીસ આ આરોપીઓને પકડવા માટે રેડ કરે ત્યારે પોલીસ ટીમ પર સીધું ફાયરિંગ કરી, જાનથી મારી નાખવાના ઇરાદે અથવા ગંભીર ઇજા પહોંચાડી નાસી જવા માટે આ હથિયારો મંગાવ્યા હતા. પોલીસે સમયસૂચકતા વાપરીને સ્થળ પરથી ત્રણ આરોપીઓ કમલેશ લખમણ ભારાઈ, વિશાલ કાના ભારાઈ અને જયેશ ઉર્ફે એભો મેરૂભાઈ ચાવડાની ધરપકડ કરી લીધી હતી, જ્યારે જયપાલ ખોડા બઢ અને ભરત ખોડા બઢ નાસી જવામાં સફળ રહ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી 50 હજારથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો​પોલીસે રેડ પાડી બે દેશી હાથ બનાવટના હથિયારો, બે દેશી તમંચા, એક દેશી પિસ્તોલ અને 96 નંગ જેટલા જીવતા કારતૂસ મળી પોલીસે ઘટના સ્થળેથી કુલ 50,800 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.હથિયારો ઉપરાંત પોલીસે ચાર તીક્ષ્ણ છરીઓ, હથિયાર સાફ કરવા માટેના સાધનો જેવા કે ફુલથ્રુ અને પીન તથા ત્રણ મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે. આ સમગ્ર હથિયારોનો જથ્થો ગેંગના મુખ્ય આરોપીઓ ભાવેશ ઉર્ફે ભાવિન અને લાખા સાંગા હુણ દ્વારા મોકલવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પોલીસે ફરાર આરોપીઓને પકડવા માટે શોધખોળ હાથ ધરી​આરોપીઓના ગુનાહિત ઈતિહાસ પર નજર કરીએ તો ઝડપાયેલ જયેશ ઉર્ફે એભો મેરૂભાઈ ચાવડા વિરુદ્ધ હત્યા, લૂંટ અને પ્રોહિબિશન સહિતના કુલ 17 જેટલા ગંભીર ગુનાઓ અગાઉ નોંધાઈ ચૂક્યા છે. તેમજ મુખ્ય આરોપી ભાવેશ ઉર્ફે ભાવિન ખોડા બઢ વિરુદ્ધ હત્યાની કોશિશ અને રાયોટિંગ સહિતના 11 ગુનાઓ છે, જ્યારે જાદવ ઉર્ફે લાખો સાંગા હુણ વિરુદ્ધ હત્યા અને આર્મ્સ એક્ટ જેવા 9 ગુનાઓ નોંધાયેલા છે. અન્ય આરોપીઓ વિશાલ અને જયપાલ વિરુદ્ધ પણ 01-01 ગુનો નોંધાયેલ છે. પોલીસ હાલ આ ફરાર આરોપીઓને પકડવા માટે અલગ-અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. જૂનાગઢ પોલીસ દ્વારા જાહેર જનતાને પણ કડક શબ્દોમાં અપીલ કરવામાં આવી છે કે, જે આરોપીઓ વિરુદ્ધ કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યા હોય, તેમને જાણતા કે અજાણતા કોઈ પણ પ્રકારનો આશરો આપવો કે મદદ કરવી એ કાયદેસર રીતે ગંભીર ગુનો બને છે. જો કોઈ પણ વ્યક્તિ આવા ગુનેગારોને મદદરૂપ થશે તો તેમની વિરુદ્ધ પણ પોલીસ કડક કાનૂની કાર્યવાહી હાથ ધરશે. આ સમગ્ર સફળ ઓપરેશનમાં એફ.બી. ગગનીયા સાથે એએસઆઈ સન્ની વાછાણી, હેડ કોન્સ્ટેબલ સુરેશ કારેથા, દેવેન ચાવડા, સમીર રાઠોડ અને તેમની આખી ટીમે મહત્વની ભૂમિકા ભજવી છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 9:02 pm

સોમનાથ મંદિરમાં મકરસંક્રાંતિએ સૂર્ય-ગૌપૂજા સહિત વિશેષ અનુષ્ઠાન:350થી વધુ ભક્ત પરિવારો ઓનલાઇન ગૌપૂજામાં જોડાયા

મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા સૂર્યપૂજા અને ગૌપૂજા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સંક્રાંતિના પુણ્યકાળ દરમિયાન શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે વિશ્વ કલ્યાણ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરવામાં આવી હતી. ગૌપૂજામાં ટેક્નોલોજીનો સંગમમંદિર પરિસરમાં આયોજિત ગૌપૂજનમાં ટ્રસ્ટ સંચાલિત ગીર ગૌશાળાની ગૌમાતાનું વિધિવત પૂજન કરી ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પૂજન વિધિમાં દેશના વિવિધ રાજ્યોમાંથી 350 થી વધુ ભક્ત પરિવારો ડિજિટલ માધ્યમથી ઓનલાઇન જોડાયા હતા. સોમનાથ ટ્રસ્ટના ઇનચાર્જ જનરલ મેનેજર દ્વારા સૂર્યનારાયણની આરાધના અને ગૌપૂજનની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. મહાદેવને તલનો વિશેષ અભિષેક અને શ્રૃંગારમકરસંક્રાંતિના અવસરે સોમનાથ મહાદેવને જળ, દૂધ, દહીં અને સાકર સાથે તલ મિશ્રિત કરી વિશેષ અભિષેક કરવામાં આવ્યો હતો. સંક્રાંતિ કાળમાં તલનું વિશેષ મહત્વ હોવાથી આખો દિવસ પૂજનમાં સફેદ તલનો ઉપયોગ થયો હતો. સંધ્યાકાળે મહાદેવનો તલથી વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો, જેના દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. તલનું શાસ્ત્રોક્ત અને આયુર્વેદિક મહત્વશાસ્ત્રોમાં તલને અત્યંત પવિત્ર અને ઔષધિય માનવામાં આવે છે. પુરાણોમાં ઉલ્લેખ: વિષ્ણુ પુરાણ, પદ્મ પુરાણ અને શિવપુરાણમાં તલના દાન અને ઉપયોગનું વિશેષ મહત્વ જણાવાયું છે. પિતૃકર્મ: બૃહન્નાર્દીય પુરાણ મુજબ પિતૃઓને તલ અને ગંગાજળ અર્પણ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આયુર્વેદ: આયુર્વેદિક દ્રષ્ટિએ તલ વાત, પિત્ત અને કફના વિકારો દૂર કરનાર રોગનાશક ઔષધ છે. આ ધાર્મિક અવસરે દેશ-વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 8:39 pm

ચંદ્રુમાણા શાળામાં ગૌરીવન ફરતે સંરક્ષણ દિવાલ:ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રાન્ટથી ઉર્જા કુટીર પણ બનશે

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામમાં આવેલી પીએમશ્રી પ્રાથમિક શાળા ખાતે રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રાન્ટમાંથી ગૌરીવનની ફરતે પાકી સંરક્ષણ દિવાલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનો હેતુ શાળાના પર્યાવરણને સુરક્ષિત કરવાનો છે. શાળાના આચાર્ય ગણેશભાઈ ડોડીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, શાળામાં 50 બાય 90 ફૂટનું ગૌરીવન તૈયાર કરાયું છે. આ ગૌરીવનમાં વિવિધ પ્રકારની ઔષધીય વનસ્પતિઓ અને અન્ય વૃક્ષોનો ઉછેર કરવામાં આવ્યો છે. 'સ્કૂલ ઓફ એક્સલન્સ' હેઠળ મળેલી ગ્રાન્ટનો ઉપયોગ કરીને આ ગૌરીવન ફરતે આકર્ષક ડિઝાઇનવાળી સંરક્ષણ દિવાલ બનાવવામાં આવી રહી છે. આ દિવાલનું નિર્માણ પૂર્ણ થયા બાદ, તેના પર બાળકોને પેડાગોજી પદ્ધતિ મુજબ શિક્ષણ આપતા ચિત્રો અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓનું આલેખન કરવામાં આવશે. 'બાલા પ્રોજેક્ટ' અંતર્ગત બાળકોને નવીન જાણકારી મળી રહે તેવા શૈક્ષણિક ચિત્રો પણ દિવાલ પર દર્શાવવામાં આવશે, જે તેમને પ્રેરણા આપશે. આ ઉપરાંત, શાળાની ઓફિસના આગળના ભાગે 'ઉર્જા કુટીર'નું નિર્માણ પણ પ્રગતિમાં છે. આ કુટીર એક એવું સ્થળ હશે જ્યાં બાળકો અને શિક્ષકો એકસાથે બેસીને મુક્ત મને અભ્યાસલક્ષી ચિંતન કરી શકશે. આ 'ઉર્જા કુટીર'માં શિક્ષણના નવા પ્રવાહો, અભ્યાસક્રમ અને અન્ય શૈક્ષણિક બાબતો અંગે મુક્ત અને આત્મીયતાપૂર્વક ચર્ચા-વિચારણા થઈ શકશે, જે શૈક્ષણિક વાતાવરણને વધુ સુદૃઢ બનાવશે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 8:05 pm

સાબરકાંઠામાં ઉત્તરાયણની ઉજવણી:પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો ઉપયોગ, સાંજે આકાશમાં ચાઈનીઝ ટુક્કલ પણ જોવા મળ્યા

સાબરકાંઠા જિલ્લામાં, હિંમતનગર સહિતના વિસ્તારોમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન, પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરીને લોકોએ પતંગ ચગાવ્યા હતા. સાંજે આકાશમાં ફટાકડાની આતશબાજી બાદ ચાઈનીઝ ટુક્કલ પણ જોવા મળ્યા હતા. ઉત્તરાયણના દિવસે વહેલી સવારે હનુમાન ચાલીસા અને સાંજે ભક્તિમય ગીતો સાંભળવા મળ્યા હતા. દિવસભર પતંગબાજોએ આકાશમાં રંગબેરંગી પતંગો ચગાવ્યા હતા. એકંદરે, પવન સારો હોવાને કારણે સાંજના સમયે પણ પતંગ વધુ ચગ્યા હતા. મોડી સાંજે ફટાકડાની આતશબાજી અને આકાશમાં ઉડતા ટુક્કલથી વાતાવરણ વધુ ઉત્સાહપૂર્ણ બન્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 8:03 pm

હિંમતનગરમાં 38 પક્ષીઓ દોરીથી ઘાયલ:કરુણા અભિયાન અંતર્ગત 2 કબૂતરના મોત

હિંમતનગરમાં કરુણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણ પર્વ દરમિયાન દોરીથી ઘાયલ થયેલા 38 પક્ષીઓને બચાવવામાં આવ્યા હતા. આ ઘટનામાં બે કબૂતરના મોત થયા હતા, જ્યારે અન્ય પક્ષીઓને સારવાર બાદ શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા છે. હિંમતનગર પશુપાલન હોસ્પિટલના ડૉ. બંકિમ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, બુધવારે સવારથી મોડી સાંજ સુધીમાં કુલ 38 પક્ષીઓ ઘાયલ અવસ્થામાં લાવવામાં આવ્યા હતા. આમાં મોટાભાગના કબૂતર હતા. જીવદયા પ્રેમીઓ દ્વારા લાવવામાં આવેલા આ પક્ષીઓની સારવાર અને જરૂર પડ્યે ઓપરેશન પણ કરવામાં આવ્યા હતા. ઘાયલ પક્ષીઓમાં એક બગલો, એક પોપટ અને 35 કબૂતરનો સમાવેશ થાય છે. સારવાર બાદ તેમને શેલ્ટર હોમમાં મોકલી દેવાયા હતા. આ ઉપરાંત, ઉત્તરાયણના દિવસે બપોરના સમયે બેરણા રોડ પર એક ઝાડમાં દોરીથી ફસાયેલા કબૂતરને સ્થાનિક યુવાનોએ બચાવ્યું હતું. સ્થાનિકોએ ઝાડ પર ફસાયેલા કબૂતરને જોઈને વાંસના વાંસડા વડે બચાવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં એક યુવાન ઝાડ પર ચઢીને કબૂતરને નીચે ઉતારી લાવ્યો હતો. તેના પગમાં ફસાયેલી દોરી કાપવામાં આવી હતી, પરંતુ ગંભીર ઈજાઓ થતાં તેને મહાવીરનગર ચાર રસ્તા પરના જીવદયા કેન્દ્ર ખાતે વધુ સારવાર માટે પહોંચાડવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 7:59 pm

Editor's View: ટ્રમ્પનું તોફાની એક વર્ષ:જગતજમાદાર પછી હવે કોણ? દુનિયા ધુણાવતા 5 નિર્ણયો, બાઈડન Vs. ટ્રંપની સરખામણી અને ભારત ક્યાં?

એક અઠવાડિયા પછી એટલે કે 20 જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળનું પહેલું વર્ષ પૂરું થશે. અમેરિકામાં બેઠેલા ટ્રમ્પ માટે આ ઉજવણીનો માહોલ હોય શકે પણ અમદાવાદમાં બેઠેલા કે અમરેલીમાં બેઠેલા લોકોના મનમાં એક જ સવાલ હશે કે ટ્રમ્પ પછી પણ ટ્રમ્પ જેવો જ આવશે? આઈટીમાં ભણતો વિદ્યાર્થી હોય કે વલસાડનો કેમિકલ એન્જિનિયર બધાને મનમાં ભય બેઠો છે કે ટ્રમ્પ હવે શું પેંતરા કરશે અને તેનાથી ગુજરાતીના ખિસ્સામાં શું ફરક પડશે. આવું એટલા માટે કારણ કે અમેરિકા છીંક ખાય તો પણ તેના વાયરસ દુનિયાભરમાં અસર કરે છે. ટ્રમ્પે હમણા જ H-1B વિઝાની ફીમાં 1 લાખ ડોલરનો વધારો કર્યો હતો ત્યારે સીધો ફટકો મહેસાણા કે મોરબીના મિડલ ક્લાસ પિતાના ખિસ્સા પર પડ્યો હતો જેણે પોતાના દીકરાને ડોલરિયા સપના જોવા વિદેશ મોકલ્યો હતો. આજે આપણે વાત કરીશું કે ટ્રમ્પના તોફાની એક વર્ષ પછી અને તેના બીજા કાર્યકાળ પછી તેના રિપબ્લિક પક્ષનો કે વિપક્ષનો ડેમોક્રેટિક પક્ષનો જે કોઈ પણ રાષ્ટ્રપતિ આવશે તે કોણ હશે અને તેનાથી આપણને શું નફો-નુકસાન. વાત કરીએ શું ટ્રમ્પ પછી પણ કોઈ ટ્રમ્પ જેવો જ આવશે? નમસ્કાર.... આપણે જેમ ભાજપ અને કોંગ્રેસ મુખ્ય પક્ષો છે તેમ અમેરિકામાં ડેમોક્રેટિક અને રિપબ્લિક એમ બે મુખ્ય પાર્ટી છે. ટ્રમ્પની પાર્ટીનું નામ રિપબ્લિકન પાર્ટી છે. તે અત્યારે એવા વળાંક પર છે જ્યાં બે દિગ્ગજ ઉત્તરાધિકારીઓની જંગ જામી છે. એક બાજુ મેક અમેરિકા ગ્રેટ અગેઈનવાળા અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ છે અને બીજી બાજુ અનુભવી માર્કો રૂબિયો છે. બંનેની કમ્પેરિઝન કરીએ. જેડી વાન્સઃ ટ્રમ્પના વૈચારિક પુત્ર માત્ર 40 વર્ષની ઉંમરે ઉપરાષ્ટ્રપતિ બનેલા વાન્સ અત્યારે અમેરિકાના નંબર ટુ શક્તિશાળી નેતા છે. ગ્રીનલેન્ડ હડપવાની ટ્રમ્પની મહત્વકાંક્ષા હોય કે પછી અમેરિકાના લશ્કરને વિદેશી ધરતી પરથી પાછી ખેંચવાની વાત હોય, વાન્સ હંમેશા આગળ જ રહ્યા છે. જો કે પેન્ટાગોન અને લશ્કરી અધિકારીઓ તેમના હસ્તક્ષેપથી નારાજ છે એ અલગ વાત છે. વાન્સનો જનાધાર કટ્ટર જમણેરી અને કામદાર વર્ગ છે. માર્કો રૂબિયોઃ મુત્સદ્દીમાં મહારત તેઓ હાલ અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ છે. તેમના જ નેજા હેઠળ વેનેઝુએલા પરના ઓપરેશનમાં ટ્રમ્પને સફળતા મળી છે. જેના કારણે માર્કો રૂબિયોની લોકપ્રિયતાએ પણ આભ આંબ્યું છે. અમેરિકાના રૂઢીચુસ્તો અને મોટા કોર્પોરેટ દાતાઓ રાષ્ટ્રપતિ તરીકે માર્કો રૂબિયોને જ પસંદ કરશે કારણ કે માર્કોની વોટબેંક આ લોકો છે. રિપબ્લિકન પક્ષના મોટા ચહેરાઓ જે અમેરિકાના ભાવિ રાષ્ટ્રપતિ બનવાની રેસમાં છે તેમની વાત કરીએ તો... રિપબ્લિકન પાર્ટીના 5 ચહેરા 1) જેડી વાન્સ, ઉપરાષ્ટ્રપતિ 2) માર્કો રૂબિયો, વિદેશમંત્રી 3) ડોનાલ્ડ ટ્રંપ જુનિયર, ટ્રમ્પના પુત્ર 4) રોન ડેસાન્ટિસ, ગવર્નર, ફ્લોરિડા 5) સારાહ હુકાબી સેન્ડર્સ, ગવર્નર, અરકાનસાસ આ સિવાય, ગ્રેગ એબોટ, ટેડ ક્રુઝ અને ક્રિસ્ટી નોએમના નામ પણ હાલ ક્યાંકને ક્યાંક ચર્ચામાં ચાલી રહ્યા છે. 1930 પછી પહેલીવાર US આટલું સ્વાર્થી બન્યું? ટ્રમ્પની પહેલી ટર્મ 2017-2021 વચ્ચે હતી જે એક ટ્રાયલ જેવી હતી. ત્યારે તેમની સાથે અનુભવી રાજદ્વારીઓ હતા જે તેમને રોકતા હતા. પરંતુ 2024ની જીત પછી 2025માં જે ટ્રમ્પ આવ્યા છે, તે ફિલ્ટર વગરના છે. ઈતિહાસ ગવાહ છે કે જ્યારે અમેરિકા આઈસોલેશનિઝમ તરફ વળે છે, ત્યારે દુનિયામાં અરાજકતા ફેલાય છે. કદાચ 1930ની મહામંદી પછી આ પહેલીવાર હશે જ્યારે અમેરિકા આટલું સંરક્ષણવાદી બન્યું છે. સંરક્ષણવાદી એટલે કોઈ પણ દેશના આયાત-નિર્યાત, બિઝનેસ વગેરેને વિદેશી કોમ્પિટિટરથી પ્રોટેક્શન આપે અને સરકારી આવકમાં વધારો કરાવે. ટ્રમ્પની વિદેશ નીતિ એ કોઈ 'સ્થિર રોકાણ' નથી પણ 'હાઈ-રિસ્ક ટ્રેડિંગ' જેવી છે. ટ્રમ્પનું કહેવું છે કે તે અમેરિકન ફર્સ્ટ અને અમેરિકાનું જ ભલું થાય તેવું વિચારે છે તો ચાલો આંકડાઓથી જોઈએ કે ખરેખર ટ્રમ્પ કેટલું અમેરિકાનું ભલું કરે છે. આપણે જો બાઈડનના છેલ્લા વર્ષના અને ટ્રમ્પના હાલના પહેલા વર્ષના આંકડાઓની તુલનાથી સમજીએ. બાઈડન Vs ટ્રમ્પ GDP 2.8% 1.9% બેરોજગારી દર 4.1% 4.6% ફુગાવો કન્ટ્રોલમાં ઊંચો અને અનસ્ટેબલ ટ્રમ્પનો દાવ ઊંધો પડ્યો! અમેરિકાએ ચીન, રશિયા, ભારત અને બીજા દેશો પર જે ટેરિફનો મારો ચલાવ્યો છે તેના કારણે અમેરિકન વસ્તુઓની કિંમતો આસમાન આંબી રહી છે. ટૂંકમાં નફા નુકસાનના ગણિતમાં હાલ ટ્રમ્પની નીતિઓના કારણે અમેરિકન નાગરિક પિસાઈ રહ્યો છે. આ વાતને આંકડાઓથી પણ સમજીએ. ટ્રમ્પના સમર્થકો કહે છે કે ટેરિફથી અમેરિકાની નોકરીઓ પાછી આવશે. પરંતુ ડેટા કંઈક અલગ કહે છે. ટેરિફ વધવાથી ભારત અને ચીન જેવા નિકાસકાર દેશોને નુકસાન થાય છે, પણ સામે અમેરિકામાં ફુગાવો પણ વધે છે. આ એક એવું ચક્ર છે જે વર્લ્ડ સપ્લાય ચેઈનને તોડી રહ્યું છે. ટ્રમ્પના બીજા કાર્યકાળમાં દુનિયાને અસર કરતા તેમના પાંચ મોટા નિર્ણયોની વાત કરીએ એ તો.... ટ્રમ્પના 5 મોટા નિર્ણય 1) WHOમાંથી પીછેહઠ 2) પેરિસ કરારમાંથી એક્ઝિટ 3) ઈરાન પર લશ્કરી હુમલા 4) વૈશ્વિક ટેરિફ 5) નાટોનું અસ્તિત્વ અને ગ્રીનલેન્ડ દેવા તળે દબાયેલું અમેરિકા અમેરિકા આજે 38.4 ટ્રિલિયન ડોલરના દેવા નીચે દબાયેલું છે. આ આંકડો અમેરિકાના કુલ જીડીપીના 124% થી પણ વધુ છે. તેનો અર્થ એ કે અમેરિકા જેટલું કમાય છે તેના કરતા સવા ગણું તો તેના પર દેવું છે. આ દેવાનું વ્યાજ ચૂકવવા માટે જ તેણે દર વર્ષે અબજો ડોલરના નવા બોન્ડ્સ બહાર પાડવા પડે છે, જે દુનિયાના દેશો ત્યારે જ ખરીદશે જો ડોલરનું ડોમિનન્સ ટકી રહે. હવે આપણા હિતની વાત કરીએ કે માર્કો રૂબિયો અમેરિકાના રાષ્ટ્રપતિ બને કે જેડી વાન્સ બને તો આપણી વિદેશ નીતિના ટેબલ પર કેવી ખીચડી રંધાશે. માર્કો રૂબિયોઃ ભવિષ્યમાં ભારત માટે સાનુકૂળ રહી શકે કારણ કે તેઓ ચીન વિરોધી છે અને ચીન વિરોધી ગઠબંધન ઈચ્છે છે. જો કે, તેમનો પાકિસ્તાન પ્રેમ અને ઈસ્લામાબાદ સાથેના વ્યૂહાત્મક સંબંધો ભારત માટે માથાનો દુખાવો બની શકે એમ છે. જેડી વાન્સઃ જો વાન્સ ભવિષ્યમાં અમેરિકન રાષ્ટ્રપતિની ખુરશી પર બેસે તો ટ્રમ્પનું પણ માથું ફોડે તેવા છે. વાન્સ ભારતની IT ઈન્ડસ્ટ્રી માટે સીધો ખતરો છે. તેમની અમેરિકા ફર્સ્ટ નીતિ ભારતીય ટેલેન્ટને અમેરિકા બહાર રાખવા માંગે છે. પણ સારી વાત એ છે કે તેઓ પાકિસ્તાન જેવા દેશોમાં અમેરિકાનો હસ્તક્ષેપ ઘટાડવાની વાત કરે છે. જે ભારતના પક્ષમાં છે. ટ્રમ્પનું ટ્વીટ અને સેન્સેક્સમાં મોટો કડાકો જૂન 2025માં જ્યારે અમેરિકાએ ઓપરેશન મિડનાઈટ હેમરથી ઈરાન પર લશ્કરી હુમલો કર્યો હતો, ત્યારે તેની અસર અમદાવાદના સ્ટોક માર્કેટ પર પડી હતી. ક્રૂડ ઓઈલના ભાવ વધતાની સાથે જ આપણી કંપનીઓના પ્રોફિટ માર્જિન ઘટવા લાગ્યા. ટ્રમ્પનું એક ટ્વીટ અને સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો કડાકો નોંધાયો હતો. જેની અસર ગુજરાતી તરીકે આપણા ઘરને કેવી અસર કરે છે તે પણ સમજીએ... IT સેક્ટરઃ H-1B વિઝા ફીમાં 1 લાખ ડોલરનો તોતિંગ વધારો એ ગુજરાતના હજારો પરિવાર માટે આઘાત સમાન છે. ભારતની IT સેક્ટરની કંપનીઓ હવે અમેરિકામાં પોતાનો મેન પાવર મોકલતા પહેલા સો વાર વિચારશે. હીરા ઊદ્યોગઃ અસલી હીરાની વાત કરીએ તો સુરતનો ડાયમંડ ઊદ્યોગ મંદીનો માર સહન કરી રહ્યો છે. ટ્રમ્પની વૈપારી વૃત્તિના કારણે ગુજરાતના રત્નકલાકારોની થાળીમાંથી રોટલી છીનવાઈ રહી છે. આ બધું જ અમેરિકાએ રશિયન રફ હીરા પરના પ્રતિબંધો અને વૈશ્વિક ટેરિફનો મારો ચલાવ્યો છે તેના કારણે જ થઈ રહ્યું છે. ફાર્માસ્યૂટિકલ ઈન્ડસ્ટ્રીઃ ભારતમાં ગુજરાત ફાર્મા હબમાં નંબર વન છે. જો ટ્રમ્પ અમેરિકામાં હેલ્થકેર ખર્ચાઓ ઘટાડવા માટે વિદેશથી આવતી દવાઓ પર ટેક્સ વધારી દે તો ગુજરાતની દિગ્ગજ ફાર્મા કંપનીઓના નફા પર સીધી અસર પડશે. ઓપરેશન ઓરોરાઃ આ ઓપરેશન અમેરિકામાં વસતા ગેરકાયદેસર લોકો અને વસાહતોને પાછા તેમના દેશ મોકલવા માટે કરવામાં આવી રહ્યું છે. જેમાં ગુજરાત અને પંજાબના ગેરકાયદેસર રહેતા લોકો પણ આવી જાય છે. જ્યારે અમેરિકાના લશ્કરી વિમાનોમાં દેશના લોકોને હાથકડીઓ પહેરાવીને પાછા મોકલવામાં આવે છે ત્યારે આંતરરાષ્ટ્રીય ફજેતી થાય છે. માટે ડોલરિયા સપના જોતા ગુજરાતી પરિવારોમાં ટ્રમ્પના કારણે માતમ છવાયેલો છે. હવે વાત કરીએ અમેરિકાના વિપક્ષ ડેમોક્રેટિક પાર્ટીની. જરૂરી નથી કે ટ્રમ્પનો પક્ષ જ 2028 પછી સત્તામાં આવે. સામેનો પક્ષ પણ આવી શકે. 2028ની રેસમાં હાલ ડેમોક્રેટિક પક્ષમાંથી પાંચ નામ સામે આવી રહ્યા છે તે... ડેમોક્રેટિક પાર્ટીના 5 ચહેરા 1. કમલા હેરિસ, ટ્રમ્પ સામે હાર છતાં મોટો ચહેરો 2. ગેવિન ન્યૂસમ, ગવર્નર, કેલિફોર્નિયા 3. જોશ શાપિરો, ગવર્નર, પેન્સિલવેનિયા 4. વેસ મૂર, ગવર્નર, મેરીલેન્ડ 5. પીટ બુટિગીગ, પૂર્વ મંત્રી આ સિવાય મિશિગનના ગવર્નર ગ્રેચેન વ્હિટમર અને ઈલનોઈસના ગવર્નર જેબી પ્રિટ્ઝકર પણ લાઈનમાં છે. ડેમોક્રેટ્સ અત્યારે ટ્રમ્પની ભૂલોની રાહ જોઈ રહ્યા છે. મોદી-ટ્રમ્પ કેમેસ્ટ્રી ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં હાઉડી મોદી અને નમસ્તે ટ્રમ્પ જેવા કાર્યક્રમો દ્વારા જે મિત્રતા દેખાતી હતી, તે હવે ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ગીવ એન્ડ ટેકના સંબંધોમાં બદલાઈ ગઈ છે. ટ્રમ્પને હવે મોદી પાસેથી માત્ર ટેકો નથી જોઈતો, પણ અમેરિકન સામાન માટે ભારતનું બજાર ખુલ્લું જોઈએ છે. રશિયન ઓઈલ પર ભારતને આપેલી 500% ટેરિફની ધમકી એ વાતનો પુરાવો છે કે ટ્રમ્પની નજરમાં મિત્રતા કરતાં અમેરિકાના હિત વધુ મહત્વના છે. ટ્રમ્પના કાર્યકાળમાં ભારતને અસર થાય તેવા પાંચ નિર્ણયોની વાત કરીએ તો ભારતને અસર કરતા ટ્રમ્પના 5 નિર્ણય 1) H-1B વિઝા ફીમાં 1 લાખ ડોલરનો વધારો 2) ભારતીયોનો સામૂહિક દેશનિકાલ 3) 500% ટેરિફની ધમકી 4) ભારત-પાક. યુદ્ધમાં મધ્યસ્થીનો દાવો 5) લઘુમતી સુરક્ષા મુદ્દે દબાણ વધાર્યું આખરે સવાલ એ થાય કે શું અમેરિકા ફરી એકવાર સુપર પાવર બનશે કે પછી પોતાની જ નીતિઓના બોજ હેઠળ દબાશે? ટ્રમ્પના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂરું થવા આવ્યું છે અને સંકેતો સ્પષ્ટ છે: વિશ્વ હવે અમેરિકા પર આંખ મીંચીને ભરોસો કરી શકે તેમ નથી. ભારત અને ખાસ કરીને ગુજરાતીઓએ હવે અમેરિકા સિવાયના વિકલ્પો વિચારવા પડશે. આપણે આપણું સાર્વભૌમત્વ જાળવી રાખવી પડશે. અને છેલ્લે... ટ્રમ્પ આવે કે વાન્સ આવે કે કમલા હેરિસ આવે, જો ભારત આર્થિક રીતે મજબૂત હશે, તો વોશિંગ્ટને દિલ્હીની વાત માનવી જ પડશે. બાકી આવનાર 3 વર્ષ તો આમ જ સંબંધોના થિગડાં સીવતા રહેવા પડશે. સોમવારથી શુક્રવાર રોજ રાત્રે 8 કલાકે દિવ્ય ભાસ્કર એપ પર જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી નવા વિષય સાથે મળીશું. નમસ્કાર (રિસર્ચઃ સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 7:55 pm

હળવદમાં આપઘાતની બે ઘટના:પત્ની રીસામણે જતા યુવાનનો આપઘાત, પિતાના ઠપકાથી સગીરાએ જીવન ટૂંકાવ્યું

હળવદ તાલુકામાં બે અલગ-અલગ ઘટનાઓમાં યુવાન અને સગીરાએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. પત્ની રીસામણે જતાં એક યુવાને કેનાલમાં ઝંપલાવ્યું હતું, જ્યારે પિતાના ઠપકાથી નારાજ સગીરાએ ઝેરી દવા પી લીધી હતી. બંને ઘટનાઓમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રણમલપુર ગામની સીમમાં 17 વર્ષીય સગીરાએ ઝેરી દવા પીધીપ્રાપ્ત માહિતી અનુસાર, રણમલપુર ગામની સીમમાં ભરતભાઈ થડોદાની વાડીએ મજૂરી કામ કરતા રમેશભાઈ વેલીયાભાઈ નાયકની 17 વર્ષીય પુત્રી અમિષા ઉર્ફે વર્ષા નાયકે ગત 31 ડિસેમ્બરના રોજ બપોરના સુમારે ઝેરી દવા પી લીધી હતી. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ સી.યુ. શાહ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ, મૃતક સગીરા ઘરકામ કે ખેતીકામ કરતી ન હતી. આ બાબતે તેના પિતાએ તેને ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી લાગી આવતા સગીરાએ આ પગલું ભર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નવા ઘાટીલા ગામની સીમમાં કેનાલમાં કૂદીને 32 વર્ષીય યુવકનો આપઘાતબીજી ઘટનામાં, નવા ઘાટીલા ગામની સીમમાં કાંતિભાઈ પટેલની વાડીએ મજૂરી કામ કરતા મૂળ પંચમહાલ જિલ્લાના રહેવાસી શૈલેષભાઈ સવજીભાઈ બારૈયા (ઉં.વ. 32) એ પાણીની કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. મૃતકના માતા સુમિત્રાબેન સવજીભાઈ બારૈયાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, શૈલેષભાઈની પત્ની રીસામણે જતી રહી હતી. આ બાબતે તેમને મનોમન લાગી આવતા તેમણે ટીકર ગામની સીમમાં આવેલી પાણીની કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. પોલીસે આ અંગે પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 7:23 pm

રાજકોટમાં મકરસંક્રાંતિ લોહિયાળ બની:સહકાર રોડ પર પ્રેમ પ્રકરણ - જૂની અદાવતમાં યુવાનની છરીના ઘા મારી હત્યા નિપજાવવામાં આવી

રાજકોટમાં મકરસંક્રાંતિના તહેવારના દિવસે જ હત્યાની ઘટના સામે આવી છે. શહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલા સહકાર રોડ ઉપર રખડતું ભટકતું જીવન જીવતા યુવાનને એક મહિલા અને તેની સાથેના અન્ય શખ્સ દ્વારા છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. મર્ડરની ઘટના બનતા જ ભક્તિનગર પોલીસ મથકના પી. આઈ. સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પ્રેમ પ્રકરણ અને જૂની અદાવતમાં યુવાનની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલા સહકાર રોડ ઉપર રહેતા સાવન ગોસ્વામી નામના 45 વર્ષના આધેડને છરીના ઘા મારી દેવામાં આવ્યા હતા. જેથી લોહીલુહાણ હાલતમાં તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે તબીબોએ તપાસી ગંભીર રીતે ઘાયલ આ યુવાનનું મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું. હત્યાની ઘટનાની જાણ થતા જ ભક્તિનગર પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જે દરમિયાન પોલીસે કરેલી તપાસમાં સામે આવ્યું હતું કે આ યુવાન જૂની અદાવતમાં અને પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી હતી. એક મહિલા અને તેની સાથેના અન્ય શખ્સ દ્વારા યુવાનને છરીના ઘા મારવામાં આવ્યા હતા. આ યુવાન પોતે જ ઝઘડો કરવા માટે મહિલા પાસે ગયો હતો અને આ દરમિયાન મહિલાએ અન્ય શખ્સ સાથે મળી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જેથી પોલીસે મહિલા અને તેની સાથેના શખ્સને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 7:17 pm

હિમાલિયા સ્કાય ફ્લેટ ચોરી કેસ ઉકેલાયો:રૂપિયા 4.80 લાખની ઘરફોડ ચોરીમાં ઘરકામ કરતી મહિલા અને તેના પતિની ધરપકડ

ભાવનગર શહેરના હિમાલિયા મોલ નજીક આવેલા હિમાલિયા સ્કાય ફ્લેટમાં ઘરફોડ ચોરીની ઘટના સામે આવી હતી. જેમાં ઘરકામ માટે રાખવામાં આવેલી મહિલાએ જ ઘરમાંથી રોકડ રૂપિયા અને કિંમતી સોનાના દાગીના મળી કુલ રૂ. 4 લાખ 80 હજારની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ગણતરીની કલાકોમાં મહિલા અને તેના પતિને 25 હજાર રોકડ અને બે સોનાના ચેઇન સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. 4.80 લાખની ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધાઈ હતીભાવનગર શહેરના નિલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ઘરફોડ ચોરીની ઘટના બની હતી. નિલમબાગ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ હિમાલિયા મોલની બાજુમાં આવેલ હિમાલિયા સ્કાય ફ્લેટમાં રહેતા ફરિયાદી હાર્દિકભાઈ મહેશચંદ્રભાઈ કારેલીયાના ઘરે ઘરકામ માટે રાખવામાં આવેલી છાયાબેન સોલંકી પર ચોરીની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. તા. 10 ડિસેમ્બરથી આજદિન સુધીમાં ઘરમાંથી રોકડા રૂ. 2,60,000 તેમજ 2,20,000 સોનાના દાગીના ગુમ થયા હોવાની ગઈકાલ તા. 13 જાન્યુઆરીના રોજ છાયાબેન સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં નિલમબાગ પોલીસે ગણતરીની કલાકોમાં છાયાબેન ધર્મેશભાઈ સોલંકી અને તેના પતિ ધર્મેશભાઈ સોલંકીને મુદામાલ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે પતિ-પત્ની બંનેની ધરપકડ કરીઆ બનાવમાં નિલમબાગ પોલીસ સ્ટેશના પીએસઆઇ મકવાણાએ ટેલિફોનિક વાતચીત જણાવ્યું હતું કે, છાયાબેન ધર્મેશભાઈ સોલંકી વિરુદ્ધ ચોરી અંગે ફરિયાદ નોંધી હતી. જોકે, તપાસ દરમિયાન આ બનાવમાં તેના પતિ ધર્મેશભાઈ સોલંકીની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પોલીસે ગણતરીની કલાકોમાં બન્ને પતિ-પત્નીને ઝડપી પાડ્યા હતા અને ગઈકાલના રોજ તેમને કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મંજુર થયા હતા. બે સોનાના ચેઇન બેંકમાં મૂકી મોરગેજ લોન લીધીઆવતીકાલ તા. 15 જાન્યુઆરીના રોજ સાંજે પૂર્ણ થશે. જેમાં તપાસ દરમિયાન બંને પાસેથી રોકડ રૂપિયા 25,000 હજાર અને 2 સોનાના ચેઇન કબ્જે કરવામાં આવ્યો છે અને અન્ય મુદામાલ અંગે પતિ-પત્નીની પૂછપરછ કરતા ચોરી કરેલ અન્ય બે સોનાના ચેઇન બેંકમાં મૂકી મોરગેજ લોન લીધી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે અન્ય મુદામાલ રિકવર કરવા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 7:14 pm

ચાઇનીઝ દોરીથી યુવાન ગંભીર ઇજાગ્રસ્ત:પંચમહાલના દાવડા પાસે બાઇક અકસ્માત, આંખને ઇજા

પંચમહાલ જિલ્લામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કારણે એક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. દાવડા ગામ પાસેથી પસાર થઈ રહેલા બાઇક સવાર યુવાનના ગળા અને મોઢાના ભાગે ધારદાર દોરી ફસાઈ હતી, જેના કારણે તેની આંખને ગંભીર ઇજા પહોંચી. યુવાનને તાત્કાલિક વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભોગ બનનાર યુવાન પોતાના ઘરેથી હાલોલ ખાતે આવેલી એમ.જી. મોટર કંપનીમાં નોકરી પર જઈ રહ્યો હતો. દાવડા ગામ નજીકથી પસાર થતી વખતે અચાનક આકાશમાંથી ઉતરી આવેલી ચાઇનીઝ દોરી તેના મોઢાના ભાગે આવી ગઈ હતી. ચાલુ બાઇકે દોરી વાગતા યુવાને વાહન પરનું નિયંત્રણ ગુમાવ્યું હતું, જેના કારણે તેને ગંભીર ઇજાઓ પહોંચી. અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત યુવાનને પ્રથમ સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે, ઇજાઓ ગંભીર અને રક્તસ્ત્રાવ વધુ હોવાથી તેને તાત્કાલિક વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 6:50 pm

ગોધરામાં ઉતરાયણ પર ઘાયલ પક્ષી-પશુઓની સારવાર:કરુણા અભિયાન હેઠળ પશુ ચિકિત્સકોની ટીમ ખડે પગે

ઉતરાયણ પર્વ નિમિત્તે ઘાયલ પક્ષીઓ અને પશુઓની સારવાર માટે 'કરુણા અભિયાન' શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત પશુ ચિકિત્સકોની ટીમ ખડે પગે તૈનાત કરવામાં આવી છે. આ અભિયાનમાં જિલ્લા પશુપાલન વિભાગ અને વન વિભાગ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. વહેલી સવારથી જ ચિકિત્સકોની ટીમ દ્વારા ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. પતંગની દોરીથી કોઈ અબોલ જીવ ઘાયલ ન થાય અને જો થાય તો તેને તાત્કાલિક સારવાર મળે તે સુનિશ્ચિત કરવા તંત્ર દ્વારા કમર કસવામાં આવી છે. વન વિભાગ દ્વારા ખાસ રેસ્ક્યુ ઓપરેશન પણ ચલાવવામાં આવી રહ્યું છે. આ માટે બે એનિમલ એમ્બ્યુલન્સ ખાસ રેસ્ક્યુ માટે ફાળવવામાં આવી છે. પાંચ પશુ ચિકિત્સકો અને પાંચ પશુ નિરીક્ષકોની ટીમ સતત સેવા આપી રહી છે. પશુ ડોકટરો સાથેની આ એમ્બ્યુલન્સ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 6:35 pm

દમણના દરિયા કિનારે કાઈટ ફેસ્ટિવલ 2026 યોજાયો:આકાશ પતંગોથી છવાયું; ગુજરાત, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્ય ઉપરાંત વિદેશી પ્રવાસીઓ ઉમટ્યાં

સંઘપ્રદેશ દમણ અને દીવ પ્રશાસનના પર્યટન વિભાગ દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે 'કાઈટ ફેસ્ટિવલ 2026'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં દમણનો દરિયાકિનારો રંગબેરંગી પતંગો અને પ્રવાસીઓથી ઉભરાઈ ગયો હતો. મોટી દમણના લાઈટ હાઉસ બીચ અને નાની દમણના છપલી શેરી બીચ ખાતે આયોજિત આ ફેસ્ટિવલમાં દેશ-વિદેશના સહેલાણીઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. ગુજરાત, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યો ઉપરાંત વિદેશી પ્રવાસીઓએ પણ આ ઉત્સવમાં ભાગ લીધો હતો. પ્રશાસન દ્વારા 10 જેટલા નેશનલ કાઈટ ફ્લાયર્સને આમંત્રિત કરાયા હતા, જેમણે પોતાની કલાનું પ્રદર્શન કર્યું. આકાશમાં સામાન્ય પતંગોની સાથે વિશાળકાય કાર્ટૂન કેરેક્ટર સ્પંજબોબ, શાર્ક માછલી અને કેટરપિલર આકારના પતંગો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઉત્તરાયણની મજા માણવા આવેલા પ્રવાસીઓએ પરંપરાગત ઊંધિયું, ચીક્કી અને તલના લાડુની લિજ્જત માણી હતી. સહેલાણીઓએ જણાવ્યું કે શહેરોમાં ઓછી જગ્યા હોવાને કારણે અહીં બીચ પર ખુલ્લા આકાશમાં પતંગ ચગાવવાની મજા કંઈક અલગ જ છે. પ્રવાસીઓના મતે, બીચ પર બાળકો માટે સલામતી રહે છે, ધાબા પરથી પડવાનો કે દોરી વાગવાનો ડર રહેતો નથી. ડીજેના તાલે પતંગ ચગાવવાનો આનંદ બેવડાય છે. યુરોપથી આવેલી એક સહેલાણીએ આ ફેસ્ટિવલને ખૂબ જ આનંદદાયક ગણાવ્યો હતો. દમણ પ્રશાસનના ટુરિઝમ વિભાગ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા વ્યાપક તૈયારીઓ કરાઈ હતી. સ્પર્ધકો અને સામાન્ય જનતા માટે 1000 જેટલી કાઈટ કિટ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. બીચ પર સ્ટેજ, સેલ્ફી પોઈન્ટ્સ, બેક ડ્રોપ બેનર્સ અને ફર્નિચર સાથેના સ્ટોલ્સ ઉભા કરાયા હતા. કાર્યક્રમમાં સાઉન્ડ સિસ્ટમ, લાઈટિંગ અને એન્કરિંગની પણ વ્યવસ્થા હતી. પ્રશાસને સુરક્ષા વ્યવસ્થા, ભીડ નિયંત્રણ અને સ્વચ્છતા પર ખાસ ભાર મૂક્યો હતો. આમ, દમણનો કાઈટ ફેસ્ટિવલ 2026 પ્રવાસીઓ માટે એક યાદગાર અનુભવ બની રહ્યો.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 6:30 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ધાબા પર 'ઓ અમિતકાકા...ઓ અમિતકાકા'ની બૂમો, અમદાવાદીઓ એક જ દિવસમાં કરોડોનું ઊંધિયું અને ફાફડા-જલેબી ઝાપટી ગયા

દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા દરરોજ અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન આપી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર પબ્લિશ કરવામાં આવે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 6:29 pm

ગઢડામાં ઘાયલ પક્ષીઓ માટે કરુણા અભિયાન શરૂ:મકરસંક્રાંતિ નિમિત્તે વિશેષ સારવાર કેમ્પનું આયોજન

ગઢડા શહેરમાં મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે ઘાયલ પક્ષીઓની સારવાર માટે વિશેષ કરુણા અભિયાન કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. આ કેમ્પનું આયોજન જગન્નાથજી રથયાત્રા સમિતિ, વન વિભાગ અને મધુસુદન ડેરીના સહયોગથી ગઢડા હાઈસ્કૂલ ચાર રસ્તા પાસે કરાયું છે. આ કેમ્પમાં અનુભવી ડોકટરોની ટીમ ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર પૂરી પાડશે. ગંભીર રીતે ઘાયલ પક્ષીઓ માટે ઓપરેશન થિયેટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેમને સમયસર અને યોગ્ય સારવાર મળી શકે. નોંધનીય છે કે ગઢડામાં છેલ્લા પાંચ વર્ષથી મકરસંક્રાંતિ પર્વ દરમિયાન આવા પક્ષી સારવાર કેમ્પોનું સતત આયોજન થાય છે. આ વર્ષે પણ છઠ્ઠા વર્ષે આ પરંપરા જાળવી રાખવામાં આવી છે. સાંજના 6 કલાક સુધીમાં ત્રણ કબૂતર ઘાયલ થયા હતા, જેની ડોકટરો દ્વારા સારવાર હાથ ધરવામાં આવી હતી. આ પક્ષી બચાવો અભિયાનને ગઢડાના શહેરીજનો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો ઘાયલ પક્ષીઓને કેમ્પ સુધી પહોંચાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. ગઢડા રથયાત્રા સમિતિના મહામંત્રી પિયુષ શાહે આ માહિતી આપી હતી.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 6:20 pm

વડોદરામાં પતંગ પકડવાની લાહ્યમાં બેના મોત:વાઘોડિયામાં યુવકને કરંટ લાગ્યો, કરજણમાં કાર અડફેટે 10 વર્ષના બાળકનું મોત; તહેવાર માતમમાં ફેરવાયો

સંસ્કારી નગરી વડોદરામાં ઉત્તરાયણના પર્વની ખુશીઓ વચ્ચે એક કરૂણ ઘટના સામે આવી છે. શહેરના વાઘોડિયા રોડ પર ગાયત્રી મંદિર સામે પતંગની દોરી પકડવાના પ્રયાસમાં એક 33 વર્ષીય યુવકનું વીજ કરંટ લાગવાથી કરૂણ મોત નીપજ્યું છે. આ અકસ્માતને પગલે સ્થાનિક વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. તો બીજી તરફ વડોદરા જિલ્લાના કરજણમાં પતંગ પકડવા ગયેલા 10 વર્ષના બાળકનું માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ 33 વર્ષીય શંકર રાઠવા નામનો યુવક કપાયેલી પતંગની દોરી પકડવા જઈ રહ્યો હતો, તે દરમિયાન અચાનક વીજ લાઈનના જીવંત તારને અડી જતાં તેને જોરદાર વીજ આંચકો (કરંટ) લાગ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા શંકરને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. ઉત્તરાયણના દિવસે વડોદરા શહેર જિલ્લામાં બે લોકોના મોત થયા છે. હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. તહેવારના દિવસે જ પરિવારનો મોભી ગુમાવતા રાઠવા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. માર્ગ અકસ્માતમાં 10 વર્ષના બાળકનું મોતવડોદરા જિલ્લાના કરજણ ખાતે પતંગ પકડવાની લાહ્યમાં એક માસૂમ બાળકનું માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું છે. 10 વર્ષીય હિમાંશુ કશ્યપ રસ્તા પર કપાયેલી પતંગ પકડવા દોડી રહ્યો હતો, તે દરમિયાન પૂરપાટ ઝડપે આવતી કાર સાથે તેની ટક્કર થઈ હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા હિમાંશુને તાત્કાલિક વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. પતંગની ઘેલછાએ એક માસૂમનો જીવ લેતા પરિવારમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 6:02 pm

વેરાવળમાં રહેણાંક મકાનની છત પર આગ લાગી:ફાયર વિભાગની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી, સોલાર સિસ્ટમની બેટરી અને ઘરવખરીને નુકસાન

વેરાવળ શહેરની અલીભાઈ સોસાયટીમાં આજે બપોરે એક રહેણાંક મકાનની છત પર આગ લાગી હતી. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે, વેરાવળ ફાયર વિભાગની સમયસર કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને વધુ નુકસાન થતું અટકાવવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, બપોરના અંદાજે અઢી વાગ્યાના સુમારે અલીભાઈ સોસાયટીમાં આવેલી મુસ્તફા મસ્જિદ નજીક ઈકબાલભાઈ બેલીમના મકાનની છત પરથી ધુમાડા નીકળતા જોવા મળ્યા હતા. થોડા જ સમયમાં આગ વધુ ફેલાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આગની જાણ થતાં જ વેરાવળ ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. કોલ મળતાની સાથે જ LFM સુનીલકુમાર ચુડાસમા, DCO નરેન્દ્રસિંહ, FM વિજયભાઈ અને FM જીતેન્દ્રસિંહ સહિતનો ફાયર સ્ટાફ વોટર બ્રાઉઝર મિની ફાયર ફાઈટર (GJ-18-GB-9039) સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર સ્ટાફે પાણીનો મારો ચલાવી ટૂંકા સમયમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. પ્રાથમિક તપાસમાં મકાનની છત પર આવેલા ઇલેક્ટ્રિક મીટર નજીક શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું અનુમાન છે. આગના કારણે છત પર લગાવવામાં આવેલી સોલાર સિસ્ટમની બેટરી અને કેટલાક ઘરવખરીના સામાનને નુકસાન થયું હતું. ફાયર વિભાગની ઝડપી અને અસરકારક કામગીરીને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. આસપાસના રહેવાસીઓએ ફાયર વિભાગની કામગીરીની પ્રશંસા કરી હતી. ફાયર વિભાગે શિયાળામાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના બનાવો વધતા હોવાથી નાગરિકોને ઇલેક્ટ્રિક વાયરિંગ અને મીટર સંબંધિત સુરક્ષા બાબતે ખાસ સાવચેતી રાખવા સૂચન કર્યું છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 6:02 pm

પતંગ કપાઈ જતા હર્ષ સંઘવીએ ઠેકડો માર્યો:પરિવાર-કાર્યકર્તા સાથે અમિત શાહની ઉત્તરાયણ, જામનગર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

પરિવાર- કાર્યકર્તાઓ સાથે અમિત શાહની ઉત્તરાયણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરિવાર અને કાર્યર્તાઓ સાથે અમદાવાદમાં ઉત્તરાયણ ઉજવી.ત્રણ પતંગ કપાયા પછી અમિત શાહે પણ એક પતંગ કાપ્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નેતા- સેલિબ્રિટીઝની ઉત્તરાયણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયાપુરમાં ,નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં ઉત્તરાયણ મનાવી. તો પાલિતાણામાં રામાયણના રામ અરુણ ગવલી અને કપિલ દેવે પતંગબાજી માણી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારત v/s ન્યુઝીલેન્ડ રાજકોટમાં આજે બેવડો ઉત્સાહ..નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારત ન્યુઝીલેન્ડની બીજી વન ડે રમાઈ રહી છે. જો કે ઉત્તરાયણ હોવાથી સ્ટેડિયમમાં અંદાજિત 20000 લોકો જ પહોંચ્યા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો જામનગર એરપોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જામનગર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. તાત્કાલિક એરપોર્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ક્રિકેટર હાર્દિક પંડ્યા એરપોર્ટથી નીકળ્યા બાદ ધમકીભર્યો મેલ મળ્યો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગોડાઉનના અભાવે મગફળીના થપ્પા લાગ્યા અમરેલીમાં ગોડાઉનના અભાવે 13 ખરીદ કેન્દ્રો પર મગફળીની બોરીઓના થપ્પા લાગ્યા. ટેકાના ભાવથી ખરીદી કરવાની અંતિમ તારીખ 17 જાન્યુઆરી છે. જેથી ખેડૂતોને પોતાનો માલ વેચાશે કે કેમ તેની ચિંતા પેઠી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સાહિલ માજોઠીનો વધુ એક વીડિયો વાયરલ રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ફસાયેલા અને હાલ યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં રહેલા મોરબીના યુવાન સાહિલ માજોઠીનો નવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.વીડિયો કોલ પર વાત કરતા માતાએ દીકરાને હિંમત આપતા કહ્યું કે મોદી સરકાર તને જલદી ભારત પાછો લાવશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ફિલ્મી ઢબે આંખ ખૂલતાં જ ઉઠાવી લીધો સારોલીમાંથી 9 લાખની ચોરી કરનાર ચોરને સુરત પોલીસે મધ્યપ્રદેશના આંતરિયાળ ગામમાંથી ઝડપી પાડ્યો. બુલેટ પ્રુફ જેકટ અને હથિયારોથી સજ્જ પોલીસે ફિલ્મી ઢબે ચોરને તેની આંખ ખુલતાની સાથે જ ઉઠાવી લીધો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નજીવી બાબતમાં ક્રુરતાથી યુવકની હત્યા કરી વડોદરાના મકરપુરા ડેપો પાછળ આવેલા જશોદાનગરમાં એક યુવકની હત્યા કરાઈ. ભત્રીજીનો જન્મદિવસ ઉજવીને ઘરે જતા સમયે નાની બાબતમાં બોલાચાલી કરી લોખંડની જાળી સાથે ભટકાવી લાતો- મુક્કાઓ મારીને યુવકની હત્યા નીપજાવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો LCBએ 1.35 કરોડનો વિદેશી દારૂ ઝડપ્યો દાહોદ LCBએ 1.35 કરોડનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે..આઇસરના કન્ટેન્ટરમાં બબલ રોલની આડમાં દારુ છુપાવીને લઈ જઈ રહ્યા હતા. એલસીબીએ મધ્યપ્રદેશના બે લોકોની ધરપકડ કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પતંગની દોરીએ બે યુવકની જિંદગીની દોર કાપી રાજ્યમાં પતંગની દોરીએ બે યુવકોનો ભોગ લીધો.. અરવલ્લીના બાયડમાં એક્ટિવા સવારનું અને જંબુસરમાં બાઈકચાલકનું ચાઈનીઝ દોરીથી ગળુ કપાતા મોત નીપજ્યું..બંને યુવકોના પરિવારોમાં શોકમો માહોલ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 6:00 pm

પાટણના નારાયણ મંદિરમાં ભગવાનને 3 કિલો ઘીના વાઘા:ઉત્તરાયણ પર્વે ગુજરાતના એકમાત્ર નારાયણ મંદિરમાં ભક્તો ઉમટ્યા

પાટણ સ્થિત ગુજરાતના એકમાત્ર નારાયણ મંદિરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે ભગવાનને ઘીના વાઘા પહેરાવવામાં આવ્યા હતા. આ વર્ષે અંદાજે 3 કિલો ચોખ્ખા ઘીનો ઉપયોગ કરીને આ વાઘા તૈયાર કરાયા હતા. આ અનોખા દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. પાટણ, જે તેના ઐતિહાસિક શિવ અને જૈન મંદિરો માટે જાણીતું છે, ત્યાં સમગ્ર ગુજરાતનું એકમાત્ર નારાયણ મંદિર આવેલું છે. અહીં દર વર્ષે ઉત્તરાયણના દિવસે ભગવાનને ઘીના વાઘા પહેરાવવાની પરંપરા છે. ભક્તોએ આ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ મંદિરનો ઇતિહાસ ઘણો રોચક છે. દિલ્હીમાં અકબરનું શાસન હતું ત્યારે બિરબલ દર પૂનમે દ્વારકાધીશના દર્શને જતા હતા. અકબરે ભગવાનની મૂર્તિને દિલ્હી લાવવાનું કહેતા, સેનાની એક ટુકડીને ગુજરાત મોકલી હતી. દ્વારકાધીશની મૂર્તિ લઈને જતું ગાડું પાટણ પહોંચ્યું અને રાત્રિ રોકાણ કર્યું. ભગવાન નારાયણે તે સ્થળે જ વાસ કરવાનું નક્કી કર્યું. સમય જતાં, મૂર્તિ જમીનમાં દટાઈ ગઈ. એક ભક્તને સ્વપ્નમાં ભગવાન નારાયણે ખોદકામ કરવાનું કહેતા, ત્યાંથી મૂર્તિ મળી આવી અને તેની સ્થાપના કરવામાં આવી. મૂર્તિ નિર્વસ્ત્ર હોવાથી, ભગવાનના કહેવા મુજબ ઘીના વાઘા પહેરાવવામાં આવ્યા. તે દિવસ ઉત્તરાયણનો હતો. ત્યારથી, આ પરંપરા અનુસાર દર વર્ષે ઉત્તરાયણના દિવસે ભગવાન નારાયણને ઘીના વાઘા પહેરાવવામાં આવે છે. આ વર્ષે પણ 3 કિલો ચોખ્ખા ઘીનો ઉપયોગ કરીને વાઘા તૈયાર કરાયા હતા, જેના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને આસ્થાભેર દર્શન કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 5:46 pm

જામનગરમાં ઉતરાયણની ધામધૂમપૂર્વક ઉજવણી:પતંગ રસિયાઓએ આકાશમાં પતંગોની રમઝટ બોલાવી, ઊંધિયા-જલેબીની મોજ

જામનગરમાં ઉતરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શહેરભરમાં પતંગ રસિયાઓએ અગાશીઓ પરથી આકાશમાં પતંગોની રમઝટ બોલાવી હતી. યુવા વર્ગે ગીત-સંગીત સાથે પતંગ ચગાવવાની મોજ માણી હતી. ટેરેસ પરથી ઊંચી ચીચિયારીઓ સાથે ઉત્સાહભેર પતંગો કાપવામાં આવી હતી, જેના કારણે ઉત્સવનો માહોલ જીવંત બન્યો હતો. ઉતરાયણ પર્વ નિમિત્તે જામનગરના લોકો પતંગ ચગાવવાની સાથે ઊંધિયું અને જલેબીની પણ મજા માણે છે. આ પરંપરાને અનુસરીને, શહેરની બજારોમાં વેપારીઓ દ્વારા ઊંધિયાની વિવિધ વાનગીઓનું વેચાણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને, પતંગ ચગાવતી વખતે છત અને અગાશી પર રહેલા લોકો કાઠિયાવાડી ઊંધિયું સહિતની વાનગીઓ ખાવાનો આનંદ લેતા હોય છે. હાલમાં, જામનગરની બજારોમાં ઊંધિયું અને જલેબી જેવી વસ્તુઓનું ભારે વેચાણ જોવા મળ્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 5:45 pm

બળાત્કાર-પોક્સોનો આરોપી યુપીથી ઝડપાયો:20 વર્ષની સજા બાદ પેરોલ જમ્પ કરી 10 મહિનાથી નાસતો ફરતો, વલસાડ પોલીસે સુલતાનપુરથી દબોચ્યો

બળાત્કાર અને પોક્સો એક્ટ જેવા ગંભીર ગુનામાં 20 વર્ષની સખત કેદની સજા ભોગવી રહેલા અને પેરોલ રજા પરથી ફરાર થયેલા કેદીને ઝડપી પાડવામાં વલસાડ જિલ્લા પેરોલ-ફર્લો સ્કવોડને સફળતા મળી છે. આરોપી આલોક રામઅવતાર મિશ્રા પેરોલ જમ્પ કરી ઉત્તર પ્રદેશમાં છુપાયો હતો, જેને પોલીસ ટીમે બાતમીના આધારે ત્યાં પહોંચીને ઝડપી પાડ્યો છે. 10 દિવસની રજા મેળવી ફરાર થયો હતોસુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલા કેદી આલોક મિશ્રાને ગત 4 March, 2024ના રોજ 10 દિવસની પેરોલ રજા પર મુક્ત કરવામાં આવ્યો હતો. નિયમ મુજબ તેને 14 March, 2024ના રોજ જેલમાં પરત હાજર થવાનું હતું. જોકે, કેદી જેલમાં હાજર થવાને બદલે ફરાર થઈ ગયો હતો. ત્યારથી વલસાડ પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સથી મળ્યું લોકેશનવલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના હેઠળ પેરોલ-ફર્લો સ્કવોડ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ સામંતસિંહ અને અલ્લારખુ આમીરભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લામાં છુપાયો છે. ટીમ સુલતાનપુર પહોંચી અને આરોપીને દબોચ્યોમાહિતીની પુષ્ટિ થયા બાદ વલસાડ પેરોલ-ફર્લો સ્કવોડની એક ટીમ તાત્કાલિક ઉત્તર પ્રદેશ મોકલવામાં આવી હતી. સ્થાનિક પોલીસની મદદ મેળવીને ટીમે સુલતાનપુર ખાતે દરોડો પાડી આરોપી આલોક મિશ્રાને ઝડપી લીધો હતો. પકડાયેલા આરોપીને વલસાડ લાવી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી બાકીની સજા કાપવા માટે ફરી લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે મોકલી આપવામાં આવ્યો છે. ગુનાની વિગતઆરોપી વિરુદ્ધ વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં IPC કલમ 376(A)(B) તથા પોક્સો એક્ટની કલમ 5(I)(M) અને 6 હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગંભીર ગુનામાં કોર્ટે તેને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 5:42 pm

રાજકોટ સેશન્સ કોર્ટ બાદ હાઈકોર્ટે સાસરિયાઓને નિર્દોષ ઠેરવ્યા:લગ્નના 3 મહિનામાં દહેજનો ત્રાસ ને દોરીથી ગળું દબાવી પરિણીતાની હત્યા કરી, સાંપ કરડવાથી મોતનું તરકટ રચ્યું હોવાનો આક્ષેપ

પરિણીતાની હત્યા કરવાના આક્ષેપમાં સાસરીપક્ષના ચાર પુખ્ત ઉમરના અને એક સગીર આરોપી સામે વર્ષ 2001માં રાજકોટના જસદણ પોલીસ મથકે ફરિયાદ નોધાઇ હતી. જોકે, વર્ષ 2003માં રાજકોટ સેશન્સ કોર્ટે ચુકાદો આપતા આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા. જેની સામે સરકારે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જોકે, હાઇકોર્ટે પણ રાજકોટ સેશન્સ કોર્ટના ચુકાદાને માન્ય ઠેરવ્યો હતો. દોરીથી ગળું દબાવી પરિણીતાની હત્યાનો આક્ષેપકેસને વિગતે જોતા પરિણીતાના લગ્નને માત્ર 3 મહિના થયા હતા. જેમાં પરિણીતાને સાસરિયાના પતિ સહિત એક સગીરા માનસિક ત્રાસ આપતા હતા. તે દહેજ ના લાવી હોવાથી હેરાન કરતા હતા. આક્ષેપ મુજબ આરોપીઓએ ભેગા મળીને તેમના ફાર્મ ઉપર મૃતકને દોરીથી ગળું દાબી હત્યા કરી નાખી હતી. બાદમાં મૃતક મહિલાના પગે નીડલથી કાણા પાડી સાંપ કરડ્યો હોવાથી મૃત્યુ થવાનું જણાવ્યું હતું. તેમજ ગળે દોરીથી પડેલા નિશાન છુપાવવા ઉપર રૂમાલ નાખી દીધો હતો. પતિના બીજા લગ્ન કરવાની ધમકીઓ અપાતી હતીસરકારી વકીલે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે, લગ્નના માત્ર ત્રણ મહિનામાં પરિણીતાનું મૃત્યુ નિપજ્યું હતું. તેનું ગળે ટૂંપો અપાતા મૃત્યુ નિપજ્યું હોવાનું મેડિકલ પુરાવામાં સામે આવ્યું છે. પરિણીતાના પિયરથી દહેજ ના મળતા તેના પતિના બીજા લગ્ન કરવાની ધમકીઓ તેને અપાતી હતી. હાઇકોર્ટે રાજકોટ સેશન્સ કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યોજોકે, કોર્ટે નોંધ્યું હતું કે, આ કેસમાં સાક્ષીઓ ફરી ગયા છે. લગ્નના પ્રાથમિક તબક્કાની આ તકરારો હોવાનું સાહેદોનું કહેવું છે. સરપંચનું કહેવું હતું કે મહિલાએ આત્મહત્યા કરી છે. પ્રોસિક્યુશન હત્યાનો હેતુ સાબિત કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. કેસ રિઝનેબલ ડાઉટ ઉપર સાબિત થઈ શક્યો નથી. જેથી હાઇકોર્ટે રાજકોટ સેશન્સ કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 5:29 pm

ગોધરામાં જંગલી ભૂંડના હુમલામાં યુવતી ગંભીર ઇજાગ્રસ્ત:પશુને બચાવવા જતા બંને પગે બચકાં ભર્યા, હોસ્પિટલમાં દાખલ

ગોધરાના થાણા ગર્જન ગામે જંગલી ભૂંડના હુમલામાં એક યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. પોતાના ઘર આંગણે બાંધેલા પશુને બચાવવા જતા ભૂંડે યુવતી પર હુમલો કર્યો હતો. થાણા ગર્જન ગામના રહેવાસી 20 વર્ષીય રસીલાબેન જીતુભાઈના ઘર આંગણે પશુઓ બાંધેલા હતા. ત્યારે અચાનક એક જંગલી ભૂંડ ધસી આવ્યું અને પશુઓ પર હુમલો કર્યો. રસીલાબેન પશુઓને બચાવવા વચ્ચે પડ્યા, પરંતુ ભૂંડે તેમના પર હિંસક હુમલો કર્યો. ભૂંડે રસીલાબેનના બંને પગે ગંભીર બચકાં ભર્યા હતા, જેના કારણે તેઓ લોહીલુહાણ થઈ જમીન પર ઢળી પડ્યા. તેમની બૂમો સાંભળી આસપાસના લોકો દોડી આવતા ભૂંડ જંગલ તરફ ભાગી છૂટ્યું. ઇજાગ્રસ્ત રસીલાબેનને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 5:05 pm

ગોધરામાં રખડતા પશુની અડફેટે યુવક ગંભીર ઇજાગ્રસ્ત:ગદુકપુર ચોકડી પાસે અકસ્માત, વડોદરા રીફર

ગોધરાના ગદુકપુર ચોકડી પાસે રખડતા પશુની અડફેટે એક બાઇક સવાર યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. આ ઘટનામાં યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ગોધરા તાલુકાના મેહુલિયા ગામના રહેવાસી કિરણભાઈ કાંતિભાઈ (ઉંમર 40 વર્ષ) પોતાના બાળકો માટે જલેબી-ફાફડા લેવા બાઇક પર નીકળ્યા હતા. ગદુકપુર ચોકડી પાસેથી પસાર થતી વખતે અચાનક એક રખડતું પશુ બાઇકની સામે આવી ગયું હતું, જેના કારણે બાઇક પશુ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કિરણભાઈ બાઇક પરથી રોડ પર પટકાયા હતા અને તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. તેઓ ઘટનાસ્થળે બેભાન થઈ ગયા હતા. અકસ્માત થતાં આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઇજાગ્રસ્ત કિરણભાઈને પ્રાથમિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, તેમની હાલત નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 5:02 pm

હિંમતનગરમાં પૂર્વ ગૃહરાજ્યમંત્રીએ ઉત્તરાયણ પર્વ ઉજવ્યો:દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલે મિત્રો સાથે પતંગ ચગાવ્યા

લક્ષદ્વીપ તેમજ દમણ-દીવના પ્રશાસક પ્રફુલ પટેલે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. તેમણે પોતાના જૂના મિત્રો અને સ્થાનિક આગેવાનો સાથે પતંગ ચગાવીને આ તહેવારનો આનંદ માણ્યો હતો. આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, પૂર્વ ધારાસભ્યો મહેન્દ્રસિંહ બારૈયા, અશ્વિન કોટવાલ અને મણીભાઈ વાઘેલા સહિતના અગ્રણીઓ અને મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાથે મળીને રંગબેરંગી પતંગો આકાશમાં ઉડાવીને પર્વની ખુશી વ્યક્ત કરી હતી. પ્રફુલ પટેલે આ અવસરે રાજ્યના લોકોને ઉત્તરાયણ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે પરંપરાગત તહેવારો સમાજમાં એકતા અને આનંદનો સંદેશ આપે છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 4:59 pm

આદિપુરમાં 19 જાન્યુઆરીએ બ્રહ્મસમાજની 111 દીકરીઓ પરિણય સૂત્રે બંધાશે:171 બટુકોની સમૂહ યજ્ઞોપવિત, હુંબલ પરિવારના સહયોગથી આયોજન; રમેશભાઈ ઓઝા આશીર્વચન પાઠવશે

આગામી 19 જાન્યુઆરીએ આદિપુર ખાતે બ્રહ્મસમાજના 111 યુગલોના સમૂહ લગ્ન યોજાશે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનની કન્યાઓ પરિણય સૂત્રે બંધાશે. દરેક કન્યાને બે લાખ રૂપિયાનું કરિયાવર આપવામાં આવશે. મુખ્ય દાતા ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવારના બાબુભાઈ હુંબલે અન્ય સમાજોની અનાથ દીકરીઓ માટે પણ સમૂહ લગ્ન કરાવવાનો સંકલ્પ લીધો છે. આયોજન અંગે ભુજ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં બાબુભાઈ હુંબલે જણાવ્યું હતું કે, આ સમૂહ લગ્નનો વિચાર દોઢ વર્ષથી ચાલી રહ્યો હતો. બ્રહ્મસમાજથી શરૂ થયેલી આ પહેલ ભવિષ્યમાં અન્ય સમાજો માટે પણ વિસ્તારવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, તેમના પરિવારનો ઉદ્દેશ્ય છેવાડાના વ્યક્તિ સુધી સેવા પહોંચાડવાનો છે. નવયુગલોને આશીર્વાદ આપવા માટે જાણીતા કથાકાર પૂ. રમેશભાઈ ઓઝા અને જિજ્ઞેશ દાદા સહિત દેશભરમાંથી સાધુ-સંતો ઉપસ્થિત રહેશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજરી આપે તેવા પ્રયાસો ચાલી રહ્યા છે. કન્યાઓને દોઢ લાખના દાગીના સહિત કુલ બે લાખ રૂપિયાનું કરિયાવર આપવામાં આવશે. બ્રહ્મસમાજના અગ્રણી દિનેશભાઈ રાવલે જણાવ્યું હતું કે, લીલાશા કુટિયા ખાતે યોજાનાર આ સમારોહમાં 111 દીકરીઓના વૈદિક વિધિ સાથે લગ્ન થશે, ઉપરાંત 171 બટુકો યજ્ઞોપવિત ધારણ કરશે. લગ્ન કરનારી 111 દીકરીઓમાંથી 47 કચ્છની અને 55 કચ્છ બહારની છે. તેમણે આ આયોજનને રાષ્ટ્રીય સ્તરનું ગણાવતા કહ્યું કે, આ એક વિશિષ્ટ આયોજન છે જ્યાં દાતા પરિવાર સ્વયં બ્રહ્મસમાજ પાસે આવ્યો છે. સમૂહ લગ્નમાં આવનારા મહેમાનો માટે કટારિયા, ભચાઉ, ગાંધીધામ, આદિપુર અને અંજાર ખાતે 80 સમાજવાડીઓ બુક કરવામાં આવી છે. દિનેશભાઈ રાવલે દાતા પરિવારના બાબુભાઈ અને જખાભાઈ હુંબલ સહિતના સહયોગની સરાહના કરી હતી. પૂર્વ કચ્છ રાજગોર સમાજના પ્રમુખ હીરાલાલ રાજગોરે પણ આ અંગે પૂરક વિગતો આપી હતી.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 4:52 pm

નવસારી એજન્ટે વિયેતનામ ટૂરના નામે કરી છેતરપિંડી:મુંબઈની નિવૃત્ત શિક્ષિકાના 2.92 લાખ ઓળવી લીધા, ચેક બાઉન્સ થયા

નવસારીના એક ટ્રાવેલ્સ એજન્ટે વિયેતનામ ટૂરના નામે મુંબઈની નિવૃત્ત શિક્ષિકા સહિતના ગ્રુપ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. કુદરતી આફતને કારણે ટૂર રદ થયા બાદ પણ એજન્ટે નાણાં પરત ન કરતા ચેક બાઉન્સ થયા હતા. મુંબઈના દાદર વિસ્તારમાં રહેતા 60 વર્ષીય નિવૃત્ત શિક્ષિકાએ નવસારી પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી છે. શિક્ષિકા અને તેમના સખીએ વિયેતનામ ફરવા જવાનું આયોજન કર્યું હતું, જેના માટે તેમણે નવસારીના છાપરા રોડ પર આવેલી 'બિલ્સ હોલી' (Bills Holly) નામની ઓફિસના પ્રોપરાઇટર ધર્મેશ વસંતભાઇ દેસાઇનો સંપર્ક કર્યો હતો. શિક્ષિકા ટુકડે-ટુકડે ચેક અને IMPS દ્વારા રૂ. 1,45,672 ચૂકવ્યા હતા, જ્યારે તેમના સખીને ચેક અને RTGS દ્વારા રૂ. 1,46,543 ચૂકવ્યા હતા. આમ, માત્ર આ બે મહિલાઓએ કુલ રૂ. 2,92,215ની રકમ એજન્ટને આપી હતી. સપ્ટેમ્બર 2024માં વિયેતનામમાં કુદરતી આફતને કારણે પરિસ્થિતિ ગંભીર બનતા નેહાબેને ટૂર રદ કરવા જણાવ્યું હતું. એજન્ટ ધર્મેશ દેસાઇએ શરૂઆતમાં જાન્યુઆરીમાં જવાનું કહી વાયદા કર્યા, પરંતુ કોઈ બુકિંગ કરાવ્યું ન હતું. જ્યારે મહિલાઓએ પોતાના નાણાં પરત માંગ્યા, ત્યારે એજન્ટે વિશ્વાસમાં લઈ નેહાબેન અને સ્નેહલબેનને રૂ. 1.20 - 1.20 લાખના ચેક આપ્યા હતા. ગ્રુપની અન્ય ત્રણ મહિલાઓને પણ ચેક આપવામાં આવ્યા હતા. જોકે, 25 નવેમ્બર 2025ના રોજ આ ચેકો બેંકમાં જમા કરાવવામાં આવતા તમામ બાઉન્સ થયા હતા. વારંવારની ઉઘરાણી છતાં એજન્ટ નાણાં ચૂકવવામાં ઠાગાઠૈયા કરતો રહ્યો. આખરે કંટાળીને નિવૃત્ત શિક્ષિકાએ એજન્ટ ધર્મેશ વસંતભાઇ દેસાઇ (રહે. આશાનગર, નવસારી) વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 4:48 pm

વલસાડ ધારાસભ્ય ભરત પટેલે ગૌશાળામાં પૂજન કર્યું:મકર સંક્રાંતિ પર્વે ગૌસેવા કરી, યુવાનોને સુરક્ષાની અપીલ

સમગ્ર દેશમાં મકર સંક્રાંતિ અને ઉત્તરાયણનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પવિત્ર પર્વ નિમિત્તે વલસાડના ધારાસભ્ય ભરત પટેલે ગૌમાતાની સેવા કરીને ઉજવણી કરી હતી. તેમણે વલસાડની ગૌશાળાની મુલાકાત લીધી હતી, જ્યાં ગૌપૂજન કરીને ગાયોને ઘાસ અને ખોરાક ખવડાવ્યા હતા. ધારાસભ્યએ ગૌશાળાની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, ગૌમાતામાં કરોડો દેવી-દેવતાઓનો વાસ હોય છે અને હિન્દુ ધર્મમાં ગાયનું વિશેષ મહત્વ છે. તેમણે આશરે 50 વર્ષ જૂની આ ગૌશાળાના સંચાલકોની નિઃસ્વાર્થ સેવાને બિરદાવી હતી, જેઓ અંધ, અપંગ અને માંદી ગાયોની સંભાળ રાખે છે. ઉત્તરાયણના પર્વે આકાશમાં પતંગોની સાથે પક્ષીઓની સુરક્ષા માટે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે લોકોને ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અને સ્વદેશી વસ્તુઓ અપનાવવા ભાર મૂક્યો હતો, કારણ કે ચાઈનીઝ દોરી પક્ષીઓ અને મનુષ્યો માટે જીવલેણ સાબિત થાય છે. તેમણે પતંગ ઉડાવતી વખતે અબોલ પક્ષીઓને નુકસાન ન થાય તેની તકેદારી રાખવા પણ અપીલ કરી હતી. ખાસ કરીને યુવાનોને અપીલ કરતા ધારાસભ્યએ જણાવ્યું કે, ઉત્તરાયણના દિવસોમાં પતંગની દોરીથી ગળું કપાવાની ઘટનાઓ વધતી હોય છે. તેનાથી બચવા માટે મોટરસાઇકલ કે દ્વિચક્રી વાહન પર સેફ્ટી ગાર્ડ (સળિયા) ચોક્કસ લગાવવા જોઈએ. પટેલ સમાજ અને અન્ય સંસ્થાઓ દ્વારા આશરે 500થી વધુ સળિયાનું વિતરણ કરવામાં આવ્યું છે. ધારાસભ્યએ લોકોને તેનો લાભ લઈ પોતાની જિંદગી સુરક્ષિત કરવા જણાવ્યું હતું. અંતમાં, તેમણે સૌને હર્ષોલ્લાસ સાથે અને સાવચેતીપૂર્વક મકર સંક્રાંતિ ઉજવવાની શુભેચ્છાઓ પાઠવી હતી.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 4:44 pm

ગાગોદર પોલીસે માર્ગ સલામતી માસની ઉજવણી કરી:જાગૃતિ માટે વાહનચાલકોને સલામતી સંદેશાવાળા પતંગ અપાયા

ગાગોદર પોલીસે ગાગોદર ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-2026ની ઉજવણી કરી. આ ઉજવણી શીખ સે સુરક્ષા, ટેકનોલોજી સે પરિવર્તન થીમ હેઠળ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન ગાગોદર પોલીસ સ્ટેશનના સ્ટાફની ઉપસ્થિતિમાં ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અને માર્ગ સલામતી અંગે જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મકરસંક્રાંતિના તહેવારને ધ્યાનમાં રાખીને, વાહનચાલકો અને નાગરિકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા માટે પતંગોનું વિતરણ કરાયું હતું. આ પતંગો પર ઓવરસ્પીડિંગ, રોંગ સાઈડ ડ્રાઈવિંગ, અનઅધિકૃત પાર્કિંગ, સીટ બેલ્ટ અને હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ તેમજ દારૂ પીને વાહન ન ચલાવવા જેવા સલામતી સંદેશા લખેલા હતા. પોલીસે લોકોને માર્ગ સલામતીના નિયમો વિશે માહિતગાર કર્યા હતા અને સુરક્ષિત વાહન વ્યવહાર માટે નિયમોનું પાલન કરવા સમજાવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 4:41 pm

ભાવનગરમાં મોહદ્દીસે આઝમ કોલેજ દ્વારા 20 વિદ્યાર્થીઓ સન્માનિત:જસ્ને દસ્તારે ફઝીલત અને હિફ્ઝો કિરાત કોન્ફરન્સનું આયોજન

ભાવનગરના મોતીબાગ ટાઉન હોલ ખાતે મોહદ્દીસે આઝમ અરબીક કોલેજના વિદ્યાર્થીઓ માટે જસ્ને દસ્તારે ફઝીલત અને હિફઝો કીરઅત અને અજમતે સહાબા અને અહલે બત્ય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોલેજ આંબાચોક, જુમ્મા મસ્જીદ પાસે આવેલી છે.કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મોહદ્દીસે આઝમ અરબીક કોલેજના સરબરાહે આ'લા પીરે તરીકત સૈયદ અબુબકર સિબ્લી અશરફ (કીછોછવી) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પીરે તરીકત સૈયદ સલમાન અશરફ, મુફ્તી અશરફરઝા સાહેબ બુરહાની, સૈયદ અબ્દુલ કાદીરબાપુ (જામનગર), ગુલામ સૈયદ અશરફી (અમદાવાદ), સૈયદ વસીમ બાપુ (જુમ્મા મસ્જીદ, ભાવનગર), કારી મહંમદ હનીફ અકબરી (ગોતરકા શરીફ) અને સૈયદ મોમીન બાપુ (અમીપરા મસ્જીદ, ભાવનગર) સહિતના આલીમ સાહેબો, મૌલાના સાહેબો, સૈયદ સાદાતો અને મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોહદ્દીસે આઝમ અરબીક કોલેજમાંથી દિની તાલીમ પૂર્ણ કરનાર કુલ 20 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ૧૦ આલીમ, ૫ હાફીઝ અને ૫ કારીનો સમાવેશ થાય છે. તેમને દસ્તાર બાંધી ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. પ્રસંગોચિત ઉદબોધન મશહુર આલીમ સાહેબો અને મૌલાના સાહેબો દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ભાવનગર શહેરમાં મોહદ્દીસે આઝમ અરબીક કોલેજનું નવું વિશાળ બિલ્ડિંગ બનાવવાનો પ્રોજેક્ટ પણ રજૂ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે મોહદ્દીસે આઝમ અરબીક કોલેજના મુદ્દતી મોહમ્મદ નિઝામુદ્દીન અશરફી મિસ્લાહી સહિતના આલીમ સાહેબો, મૌલાના સાહેબો, વરિષ્ઠ પત્રકાર કાળુભાઈ બેલીમ, ટ્રસ્ટીઓ અને વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 4:37 pm

ગુજરાતમાં પતંગની દોરીએ બે યુવકની જિંદગીની દોર કાપી:બાયડમાં મોપેડસવારનું ચાઈનીઝ દોરીએ અને જંબુસરમાં બાઈકસવારનું ગળું કાપતાં મોત, પરિવારો શોકમગ્ન

ઉત્તરાયણ પર્વ ચાલી રહ્યો છે. લોકો ઘરના ધાબા અને બિલ્ડિંગની છત પર ચડીને પતંગબાજીની મોજ માણી રહ્યા છે. તેવામાં આ મજા કેટલાક માટે મોતની સજા બની રહી છે. રાજ્યમાં બે જગ્યાએ વાહનચાલકોના ગળા કપાતા કમકમાટીભર્યા મોત થયા છે. જેમાં એક બનાવમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીએ અરવલ્લીના બાયડ પાસે એક યુવકનું ગળું કાપતાં લોહીલુહાણ થયો હતો અને તેનું મોત થયું હતું. તેવી જ રીતે ભરૂચના જંબુસરમાં બાઈકસવાર યુવકનું ગળું કપાતાં તેની પણ મોત થયું હતું. અરવલ્લીના બાયડમાં મોપેડસવારનું મોતપ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો ખતરો વધી રહ્યો છે. તંત્રની કડકાઈના દાવાઓ વચ્ચે ફરી એકવાર ચાઈનીઝ દોરીએ એક નિર્દોષ યુવકનો ભોગ લીધો છે. બાયડ તાલુકાના ચોઈલા ગામે મોપેડ પર પસાર થઈ રહેલા તીર્થ પટેલ નામના યુવકનું ગળામાં દોરી આવી જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, ચોઈલા ગામનો તીર્થ પટેલ પોતાના મોપેડ પર જુના બસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક પતંગની જીવલેણ ચાઈનીઝ દોરી તેના ગળામાં આવી ગઈ હતી. દોરી એટલી તીક્ષ્ણ હતી કે યુવકનું ગળું ગંભીર રીતે કપાઈ ગયું હતું અને તે લોહીલુહાણ હાલતમાં મોપેડ પરથી નીચે પટકાયો હતો. હોસ્પિટલમાં તબીબે મૃત જાહેર કર્યોઅકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. જુવાનજોધ દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવાર અને સમગ્ર ચોઈલા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જંબુસરના પીલુદરામાં બાઈકસવારનું મોતજંબુસર તાલુકાના પીલુદરા ગામે પતંગની દોરી વાગવાથી એક યુવકનું કરુણ મોત થયું છે. આ ઘટના આજે બપોરે આશરે 1.30 વાગ્યાના સુમારે બની હતી. મૃતક યુવકની ઓળખ રાહુલભાઈ કનુભાઈ પરમાર તરીકે થઈ છે. તેઓ પીલુદરા ગામના તીથોરા ખડકી વિસ્તારના રહેવાસી હતા. રાહુલભાઈ બાઈક પર જઈ રહ્યા હતા, ત્યારે અચાનક તેમના ગળામાં પતંગની દોરી વાગી હતી. દોરી વાગવાથી તેમનું ગળું કપાઈ ગયું હતું અને તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટના બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. યુવકને સારવાર માટે જંબુસર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તંત્રની કામગીરી સામે સવાલસરકાર અને વહીવટી તંત્ર દ્વારા ચાઈનીઝ દોરીના વેચાણ અને વપરાશ પર સખત પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આમ છતાં, બજારમાં ચોરીછૂપીથી આ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે કે જો તંત્ર દ્વારા યોગ્ય ચેકિંગ અને કડક કાર્યવાહી કરવામાં આવી હોત, તો કદાચ આ યુવકનો જીવ બચાવી શકાયો હોત.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 4:24 pm

DB REELS: આજે તો અમિત કાકાએ પતંગ કાપી:જુઓ અમિત શાહની 'કાઈપો છે; મોમેન્ટ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પરિવાર અને ભાજપ કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી હતી. ત્રણ પતંગ કપાયા બાદ અમિત શાહે એક પેચ કાપતા કાર્યકરો ગેલમાં આવી ગયા .. બાદમાં શાહે નિરાંતે ધાબા પર બેસી બોર -જામફળની મજા માણી હતી. રાજ્યભરમાં ઉત્તરાયણની કેવી ધૂમ મચી છે જુઓ વીડિયોમાં.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 4:15 pm

અટલાદરામાં બિલ્ડીંગ કામગીરી દરમ્યાન સોસાયટીની દીવાલ ધરાશાયી:રહીશોએ બિલ્ડર સામે આક્રોશ વ્યક્ત કર્યો, મોટી દુર્ઘટના ટળી

વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આજે એક બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન કામગીરી દરમ્યાન બાજુની સોસાયટીની દીવાલ ધસી પડતાં મોટી દુર્ઘટના સર્જાતાં રહી ગઈ છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ દીવાલ પડતા સોસાયટીના રહીશોએ બિલ્ડર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. એકાએક દિવાલ ધરાશાયી થતાં સ્થાનિકોના જીવ પડીકે બંધાયાવડોદરા શહેરમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાતાં રહી ગઈ છે. શહેરના અટલાદરા વિસ્તારમાં પ્રમુખસ્વામી સોસાયટી પાસે બિલ્ડર દ્વારા બિલ્ડિંગ બનાવાની કામગીરી ચાલી રહી છે. દરમ્યાન એકાએક દિવાલ ધરાશાયી થતાં સ્થાનિકોના જીવ પડીકે બંધાયા હતા. સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા ભારે હોબાળો મચ્યોઆ ઘટના બનતા સ્થાનિકો મોટી સંખ્યામાં સ્થળ પર પોહચ બિલ્ડર સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ ઘટનામાં લોકો આક્રોશ વ્યક્ત કરતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. આ બનાવને લઈ તાત્કાલિક ઘટના સ્થળે અટલાદરા પોલીસ દોડી આવી હતી. આ સમગ્ર મામલો પોલીસે લોકોની સાથે મળી થાળે પડ્યો હતો. સદનસીબે આ ઘટનામા કોઈ જાનહાનિ થઈ નથી.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 4:13 pm

ચોરને પકડવા સુરત પોલીસનું MPમાં આર્મી સ્ટાઈલમાં ઓપરેશન:અથડામણના ભય હેઠળ બુલેટપ્રૂફ જેકેટમાં પહોંચી, વહેલી સવારે ચારેય બાજુથી ઘેર્યો; આંખ ખુલતા જ આરોપીને દબોચ્યો

સુરતના સારોલી વિસ્તારમાં લગ્ન પ્રસંગની ભીડનો લાભ ઉઠાવી સોનાના દાગીના સહિત 9 લાખની મત્તાની ચોરી કરી મધ્ય પ્રદેશના અંતરિયાળ ગામમાં છૂપાટેલા આરોપીને ગુજરાત અને MPની પોલીસે ઝડપી પાડ્યો છે. બોલિવૂડની એક્શન થ્રિલર ફિલ્મની જેમ પોલીસ બુલેટપ્રૂફ જેકેટ અને હથિયારો સાથે સજ્જ થઈ ચોરોના ગઢ ગણાતા 150 મકાનોના ગામમાં વહેલી સવારે 5:30 વાગ્યે ત્રાટકી હતી. વહેલી સવારે અગાસી પર નિરાંતે સૂતા ચોર અરૂણ ભણેરિયાને આંખ ખુલતાની સાથે જ બે રાજ્યોની પોલીસે તેની ધરપકડ કરી હતી. શું છે સમગ્ર મામલો?ગત તા. 27 નવેમ્બર 2025ના રોજ ખોડલ ફાર્મ ખાતે બળવંત હડિયાના પુત્રના લગ્નનો ભવ્ય પ્રસંગ ચાલી રહ્યો હતો. લોકો લગ્નપ્રસંગમાં વ્યસ્ત હતા ત્યારે આરોપી અરૂણ ઉમેશકુમાર ભણેરિયા મહેમાન બની ત્યાં ત્રાટક્યો હતો. તેણે નજર ચૂકવી સોનાનું મંગળસૂત્ર અને વીંટીઓ ભરેલી આશરે 9 લાખની કિંમતની મત્તા ધરાવતો થેલો ચોરી લીધો હતો. આ ઘટના બાદ સુરત પોલીસ સક્રિય થઈ હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સુરતમાં ચોરી કરી આરોપી મધ્યપ્રદેશના ગામમાં છૂપાયોસારોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે જ્યારે સીસીટીવી તપાસ્યા ત્યારે તેમને એક ચહેરો વારંવાર શંકાસ્પદ જણાયો હતો. એ.એસ.આઇ ધનંજય અને સંજયને બાતમીદારો પાસેથી વિગતો મળી હતી કે, આરોપી મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના કડીયાસાસી ગામમાં છૂપાયેલો છે. આ ગામ સામાન્ય ગામ નથી પરંતુ એક એવો વિસ્તાર છે જ્યાં 150થી વધુ મકાનોમાં ઘરફોડ ચોરો રહે છે. જ્યારે પણ કોઈ રાજ્યની પોલીસ અહીં પગ મૂકવાની હિંમત કરે છે ત્યારે આખું ગામ એકઠું થઇને પોલીસ પર જીવલેણ હુમલો કરે છે. અથડામણના ભય હેઠળ બુલેટપ્રૂફ જેકેટમાં પોલીસ ગામમાં પહોંચીઆ માહિતી મળ્યા બાદ સુરત પોલીસે કોઈ રિસ્ક લેવાને બદલે એક પ્લાન બનાવવાનું નક્કી કર્યું અને ટીમ મધ્યપ્રદેશ માટે રવાના કરાઈ હતી. મધ્યપ્રદેશ પહોંચેલી સુરત પોલીસની ટીમે ત્યાંના બોડા પોલીસનો સંપર્ક કર્યો હતો. ગામની ભૌગોલિક સ્થિતિ અને ત્યાંના લોકોના આક્રમક સ્વભાવને ધ્યાનમાં રાખી પોલીસ બુલેટપ્રૂફ જેકેટ પહેરીને સજ્જ થવાનું નક્કી કર્યું હતું. કોઈપણ મોટી હિંસક અથડામણ થાય તો પણ આરોપી છૂટી ન જાય તે માટે વહેલી સવારે 5:30 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. અગાસીમાં નિરાંતે સૂતા આરોપીને ચારેય બાજુથી ઘેર્યોપોલીસની ગાડીઓ ગામની બહાર જ ઊભી રાખીને જવાનોએ પગપાળા ગામમાં પ્રવેશ કર્યો હતો. પોલીસના આ ઓપરેશનના દૃશ્યો જાણે કોઈ સાઉથની એક્શન ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હોય તે પ્રકારના હતા. આરોપી અરૂણ ભણેરિયા પોતાના ઘરની અગાસી પર નિરાંતે સૂતો હતો તે દરમિયાન જ પોલીસે ચારેય દિશામાંથી અગાસીને કોર્ડન કરી લીધી હતી. જેથી આરોપી પાસે ભાગવાનો કોઈ રસ્તો ન બચે. એક તરફ આરોપીને ઝડપી પાડવા પોલીસ તૈયાર હતી અને બીજી બાજુ ગામના અન્ય લોકો જાગી જાય તો મોટી અથડામણ થવાના ભય વચ્ચે પોલીસે આરોપીને ઘેરી લીધો હતો. આંખ ખુલતાની સાથે જ પોલીસે આરોપીને દબોચ્યોજેવી અરૂણની આંખ ખુલ્લી તેણે સામે ખાખી યુનિફોર્મ અને બુલેટપ્રૂફ જેકેટમાં સજ્જ પોલીસ જવાનોને જોયા અને તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચારેય બાજુએથી ઘેરાયેલો હોવાથી તેની પાસે શરણાગતિ સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો. પોલીસે તેને દબોચી લીધો અને ગામના અન્ય લોકો જાગે તે પહેલા તેને સુરક્ષિત રીતે પોલીસ વાહનો સુધી પહોંચાડી દીધો હતો. ત્યાર બાદ પોલીસ આરોપીને બોડા પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને ત્યાંથી સુરતના સારોલી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. આરોપી લગ્નપ્રસંગમાં મહેમાન બની પહોંચીને ચોરી કરતોઆરોપી મોટા શહેરના આલીશાન પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગે એકદમ ઠાઠમાઠથી મહેમાન બની પહોંચી જતો હતો. જ્યારે વર કે કન્યા પક્ષના લોકો લગ્નની વિધિઓમાં વ્યસ્ત હોય અથવા જમાવાના કાઉન્ટર પર ભારે ભીડ હોય ત્યારે તે કિંમતી ઘરેણાં ભરેલા થેલાની ચોરી કરી લેતો હતો. તે અગાઉ મધ્યપ્રદેશના બોડા પોલીસ સ્ટેશન અને રાજસ્થાનના પ્રતાપઢગ પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓમાં વોન્ટેડ રહી ચૂક્યો છે. તેની સામે વર્ષ 2018 અને 2024માં પણ ગંભીર કલમો હેઠળ ગુનાઓ નોંધાયેલા છે. આરોપી પાસેથી રૂ. 9 લાખનો મુદ્દામાલ કબજે કર્યોડીસીપી કાનન દેસાઈએ જણાવ્યું હતું કે, પોલીસે અરૂણ પાસેથી ચોરી કરેલો તમામ મુદ્દામાલ રીકવર કર્યો છે. જેમાં 22 કેરેટ સોનાનું મંગળસૂત્ર જેનું વજન 30.740 ગ્રામ છે અને તેની કિંમત 3.92 લાખ રૂપિયા છે. આ ઉપરાંત 18 કેરેટની સોનાની બે વીંટીઓ જેનું કુલ વજન આશરે 5.344 ગ્રામ છે અને તેની કિંમત 60,440 રૂપિયા જેટલી થાય છે. આ સોનાના દાગીના સાથે આરોપી પાસેથી 4.41 લાખ રૂપિયાની રોકડ રકમ પણ મળી આવી છે. આમ, સુરત પોલીસે કુલ 9,07,669 રૂપિયાનો તમામ મુદ્દામાલ રીકવર કર્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 4:13 pm

સુરેન્દ્રનગરમાં સાવકી માતાએ પિતાની મિલકત પચાવી પાડી:પુત્રી ન્યાય માટે પોલીસવડાને રજૂઆત કરી, કાયદેસરનો પોતાનો ભાગ પરત અપાવવા માગ

સુરેન્દ્રનગરમાં એક પુત્રીએ તેના પિતાના અવસાન બાદ સાવકી માતા દ્વારા મિલકત પચાવી પાડવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે ન્યાય મેળવવા માટે પુત્રીએ સુરેન્દ્રનગર પોલીસવડા સમક્ષ રજૂઆત કરી છે. પુત્રીના જણાવ્યા અનુસાર, તેના પિતાએ બીજા લગ્ન કર્યા હતા. પિતાના અવસાન પછી, સાવકી માતાએ તેમની તમામ મિલકત કથિત રીતે પચાવી પાડી હતી અને ત્યારબાદ તે ફરાર થઈ ગઈ હતી. આ ઘટના બાદ છેલ્લા છ મહિનાથી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ પુત્રીએ કર્યો છે. આખરે, પુત્રીએ સુરેન્દ્રનગર પોલીસવડાને લેખિત રજૂઆત કરીને પિતાની મિલકતમાં કાયદેસરનો પોતાનો ભાગ પરત અપાવવા માટે માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 3:58 pm

સુદામડા ગામે વિદેશી દારૂના કટિંગ પર પોલીસ ત્રાટકી:₹34.50 લાખનો દારૂ, વાહન સહિત ₹39.76 લાખનો મુદ્દામાલ જપ્ત

સાયલા તાલુકાના સુદામડા ગામે પોલીસે વિદેશી દારૂના કટિંગ પર દરોડો પાડી ₹34.50 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ ₹39.76 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સુદામડા ગામની સીમમાં મોટા પાયે વિદેશી દારૂની હેરફેર થઈ રહી હોવાની બાતમી સાયલા PSI ડી.ડી. ચુડાસમાને મળી હતી. આ બાતમીના આધારે તેમની ટીમે દરોડો પાડતા બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની કુલ 2568 બોટલો, એક બોલેરો પિકઅપ ગાડી અને એક એક્ટિવા સ્કૂટર કબજે કર્યું હતું. જપ્ત કરાયેલા દારૂ અને વાહનો સહિત કુલ મુદ્દામાલની કિંમત ₹39,76,200 આંકવામાં આવી છે. આ મામલે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર, બોલેરો ચાલક અને એક્ટિવા ચાલક સહિત કુલ પાંચ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 3:55 pm

દક્ષિણ ગુજરાતમાં મકરસંક્રાંતિની અનોખી પરંપરા:'કર મુહૂર્ત'માં સોના-ચાંદીના તારથી બાળકોના કાન-નાક વીંધવાયા, મોંઘવારીની અસર દેખાઈ

​વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં મકરસંક્રાંતિના પવિત્ર પર્વ પર બાળકોના કાન અને નાક વીંધાવવાની વર્ષો જૂની પરંપરા આજે પણ એટલી જ જીવંત જોવા મળી રહી છે. ખાસ કરીને આ દિવસે 'કર મુહૂર્ત' હોવાથી સોના-ચાંદીના તારથી કાન-નાક વીંધાવવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ​પરંપરા અને વિજ્ઞાનનો સમન્વય​સ્થાનિક જ્વેલર પંકજભાઈએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં આ રિવાજ અત્યંત પ્રચલિત છે. મકરસંક્રાંતિના સમયગાળામાં ઠંડીનું પ્રમાણ વધારે હોય છે અને આ દરમિયાન તલ-ગોળ જેવા ખાદ્યપદાર્થોના સેવનથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે. માનવામાં આવે છે કે આ સંજોગોમાં વીંધેલા કાન કે નાકમાં જલ્દી રુઝ આવે છે અને ઈન્ફેક્શન થવાની શક્યતા ઓછી રહે છે. મોંઘવારીની સીધી અસર​જોકે, આ વર્ષે સોના-ચાંદીના ભાવમાં આવેલા તોતિંગ ઉછાળાની અસર આ પરંપરા પર પણ જોવા મળી રહી છે. જ્વેલર્સના જણાવ્યા અનુસાર, ​સોના-ચાંદીના ભાવ વધવાને કારણે વેપારમાં 30થી 40 ટકાનો ઘટાડો નોંધાયો છે. ​ગ્રાહકો હવે નવું સોનું ખરીદવાને બદલે ભેટમાં આવેલી વસ્તુઓ લાવીને જ વીંધાવવાનું પસંદ કરી રહ્યા છે. ​નાની વસ્તુઓના ભાવ પણ 5થી 6 હજાર સુધી પહોંચી જતા સામાન્ય ગ્રાહક માટે ખરીદી કરવી મુશ્કેલ બની છે. વેપારીઓની આશા​વેપારીઓ આશા વ્યક્ત કરી રહ્યા છે કે આગામી સમયમાં ભાવમાં થોડો ઘટાડો થાય, જેથી સામાન્ય માણસ પણ આ પરંપરાને હરખભેર જાળવી શકે અને ઝવેરાત બજારમાં ફરી તેજી આવે. મોંઘવારી છતાં પણ પોતાની સંસ્કૃતિ અને પરંપરા પ્રત્યેની આસ્થાને કારણે લોકો મોટી સંખ્યામાં જ્વેલર્સની દુકાને પહોંચી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 3:51 pm

સુરતમાં ભગવાન શિવને એક દિવસમાં 60 હજારથી વધુ કરચલાનો અભિષેક:પોષ અગિયારસે ભક્તોનું ઘોડાપૂર, કાનની વ્યાધિ દૂર કરવા જીવતા કરચલા ચડાવવાની પરંપરા

તાપી નદીના પવિત્ર તટે વસેલું સુરત શહેર માત્ર હીરા અને ટેક્સટાઈલ માટે જ નહીં, પરંતુ તેના પૌરાણિક અને આધ્યાત્મિક વારસા માટે પણ જાણીતું છે. સુરતના ઉમરા વિસ્તારમાં આવેલું રામનાથ ઘેલા મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું વિશેષ કેન્દ્ર છે. આ વિશ્વનું એકમાત્ર એવું મંદિર માનવામાં આવે છે જ્યાં ભગવાન શિવને પરંપરાગત બીલીપત્ર અને પુષ્પોની સાથે જીવતા કરચલા અર્પણ કરવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી આ વિશિષ્ટ પરંપરા પાછળ ઊંડી ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે, જે દર વર્ષે હજારોની સંખ્યામાં ભક્તોને અહીં ખેંચી લાવે છે. ભક્તો શિવલિંગ પર જીવતા કરચલા ચડાવેલોકમાન્યતા મુજબ, જે વ્યક્તિઓ કાનની ગંભીર બીમારીઓ કે શ્રવણ શક્તિને લગતી સમસ્યાઓથી પીડાતા હોય, તેઓ અહીં આવીને મહાદેવની માનતા રાખે છે. પોષ માસની અગિયારસના દિવસે આ માનતા પૂર્ણ કરવા માટે ભક્તો શિવલિંગ પર જીવતા કરચલા ચડાવે છે. આ પરંપરા પૌરાણિક કાળથી અખંડિત રીતે ચાલી આવે છે. ભક્તો માને છે કે અહીં કરચલા ચડાવવાથી શારીરિક પીડામાં રાહત મળે છે, જેને પગલે દર વર્ષે પોષ અગિયારસે અહીં ભક્તિનો મહેરામણ ઉમટી પડે છે અને વિશાળ મેળા જેવું વાતાવરણ સર્જાય છે. લોકમાન્યતા મુજબ મંદિરનો ઇતિહાસ શ્રી રામ સાથે જોડાયેલો આ મંદિરનો ઇતિહાસ પ્રભુ શ્રી રામ સાથે જોડાયેલો છે. પૌરાણિક કથા અનુસાર, વનવાસ દરમિયાન શ્રી રામ જ્યારે અહીં આવ્યા હતા, ત્યારે તેમણે પિતૃ તર્પણ વિધિ માટે શિવલિંગની સ્થાપના કરી હતી. પિતા દશરથના અવસાનના સમાચાર મળતા રામચંદ્રજી મૂંઝવણમાં હતા અને વિધિ માટે યોગ્ય બ્રાહ્મણની શોધમાં હતા. તે સમયે સમુદ્રદેવે બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને તેમની સહાય કરી હતી. આ ઐતિહાસિક અને ધાર્મિક પૃષ્ઠભૂમિને કારણે રામનાથ ઘેલા મંદિરનું મહત્વ શ્રદ્ધાળુઓના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. કાનની તકલીફ હોય તે કરચલાઓને અર્પણ કરવાની ભક્તોની શ્રદ્ધાજ્યારે ભગવાન રામ પિતૃ તર્પણ કરી રહ્યા હતા, ત્યારે સમુદ્રના મોજાંની સાથે અનેક જીવતા કરચલા શિવલિંગ પર આવી પડ્યા હતા. આ ઘટના બાદ ભગવાન રામે કરચલાઓને આજીવન શ્રાપમુક્ત કરીને વરદાન આપ્યું હતું કે, જે કોઈ ભક્ત કાનની તકલીફ અથવા કાનમાંથી રસી નીકળવા જેવી સમસ્યા સમયે અહીં કરચલા ચડાવશે, તેની વ્યાધિ દૂર થશે. આ કથાના પ્રભાવ હેઠળ આજે પણ હજારો ભક્તો શ્રદ્ધાપૂર્વક આ વિધિ કરે છે. જિગ્નેશ રાઠોડ નામના એક ભક્તે જણાવ્યું કે, તેમની પત્નીના કાનમાંથી રસી નીકળતી હોવાથી તેમણે રાખેલી માનતા ફળી છે અને તેઓ શ્રદ્ધાપૂર્વક અહીં કરચલા ચડાવવા આવ્યા છે. સવારના 5 વાગ્યાથી જ મંદિરમાં ભક્તોની લાંબી કતારપોષ અગિયારસના દિવસે વહેલી સવારના 5 વાગ્યાથી જ મંદિરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળે છે. માત્ર ગુજરાત જ નહીં, પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ લાખોની સંખ્યામાં શિવાભક્તો અહીં ઉમટી પડે છે. એક અંદાજ મુજબ, આ એક જ દિવસમાં શિવલિંગ પર 60,000 થી વધુ જીવતા કરચલા અર્પણ કરવામાં આવે છે. આ કરચલાઓને દક્ષિણ ગુજરાતની વિવિધ નદીઓના કિનારેથી મંગાવવામાં આવે છે, જેની કિંમત બજારમાં 100 થી 200 સુધીની હોય છે. ભક્તો આ જીવતા જીવોને થાળીમાં શણગારીને ભોગ તરીકે લાવે છે. હજારો કરચલાઓથી શિવલિંગ ઢંકાયુંમંદિરના મુખ્ય પૂજારી અશોક ભાઈ ગોસ્વામી આ પરંપરા વિશે જણાવે છે કે, શિવલિંગ પર જે રીતે બીલીપત્ર ચડાવવામાં આવે છે, તેટલી જ પવિત્રતાથી અહીં કરચલા અર્પણ કરાય છે. દિવસભર હજારો કરચલાઓથી શિવલિંગ ઢંકાઈ જાય છે. જોકે, જીવદયાનું ધ્યાન રાખતા મંદિર પ્રશાસન દ્વારા રાત્રિના સમયે આ તમામ કરચલાઓને એકત્ર કરી વિધિવત્ રીતે ફરીથી તાપી નદીમાં અર્પણ કરી દેવામાં આવે છે. આ વ્યવસ્થાને કારણે ધાર્મિક આસ્થાની સાથે જીવસૃષ્ટિનું સંતુલન પણ જળવાઈ રહે છે. કરચલા ચડાવવાની વર્ષોથી પરંપરા આધુનિક સમયમાં પણ વિજ્ઞાન અને તર્કથી પર જઈને લોકોની શ્રદ્ધા અવિચલિત રહી છે. મંદિરે આવતી મહિલા શ્રદ્ધાળુ ભૂમિકા પટેલે જણાવ્યું કે, આ મંદિરનો મહિમા અને કરચલા ચડાવવાની પરંપરા વિશે સાંભળીને તેઓ અહીં દર્શનાર્થે આવ્યા છે. દરેક વયના લોકો, બાળકોથી લઈને વૃદ્ધો સુધી, આ શિવલિંગમાં અતૂટ વિશ્વાસ ધરાવે છે. લોકો માટે આ માત્ર પથ્થરનું શિવલિંગ નથી, પરંતુ રોગમુક્તિ અને આશીર્વાદ આપતું જીવંત દેવસ્થાન છે, જે વર્ષોથી અસંખ્ય લોકોની પીડા હરતું આવ્યું છે. કરચલાઓને રાત્રિના સમયે એકત્રિત કરીને તાપી નદીમાં અર્પણ કરાય છેદક્ષિણ ગુજરાતનો સમુદ્ર કિનારો નજીક હોવાથી રામનાથ ઘેલા મહાદેવના મંદિર માટે કરચલા સહેલાઈથી ઉપલબ્ધ થઈ જાય છે, જે શ્રદ્ધાળુઓની આસ્થાનું મુખ્ય કેન્દ્ર બને છે. પોષ અગિયારસના પવિત્ર દિવસે જ્યારે શિવલિંગ પર હજારોની સંખ્યામાં જીવતા કરચલાઓનો અભિષેક કરવામાં આવે છે, ત્યારે મંદિર પ્રશાસન દ્વારા એક પ્રશંસનીય પરંપરા જાળવવામાં આવે છે. દિવસભર ભક્તો દ્વારા ચડાવવામાં આવેલા આ તમામ કરચલાઓને રાત્રિના સમયે અત્યંત સાવચેતીપૂર્વક એકત્ર કરવામાં આવે છે અને ત્યારબાદ તેમને વિધિવત્ રીતે તાપી નદીના ભરતીના પાણીમાં સુરક્ષિત રીતે અર્પણ કરી દેવામાં આવે છે. આ વ્યવસ્થાને કારણે ધાર્મિક આસ્થાની સાથે જીવદયાનો અભિગમ પણ સચવાય છે અને જીવતા કરચલાઓને ફરી તેમના કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવે છે. ભક્ત જિગ્નેશ રાઠોડએ જણાવ્યું હતું કે, મારા પત્ની માટે માનતા રાખી હતી. તેમના કાનમાંથી રસી નીકળતી હતી. મેં એવી માનતા રાખી હતી કે જો આ રસી નીકળતી બંધ થઈ જાય તો એમના માટે હું કરચલા ચડાવીશ. તેમને કાનમાંથી રસી નીકળતી બંધ થઈ ગઈ છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 2:55 pm

છોટા ઉદેપુરના સાંસદ જશુ રાઠવાએ પતંગ ચગાવ્યો:પરિવાર સાથે મકર સંક્રાંતિની ઉજવણી કરી સૌને શુભેચ્છા પાઠવી

છોટા ઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાએ આજે પોતાના પરિવાર સાથે મકર સંક્રાંતિની ઉજવણી કરી. તેમણે પતંગ ચગાવીને આ પર્વનો આનંદ માણ્યો હતો. દેશભરમાં મકર સંક્રાંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વ નિમિત્તે નાના-મોટા સૌ કોઈ પતંગ ચગાવીને ઉત્તરાયણનો આનંદ માણે છે. આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવાએ લોકોને સુરક્ષિત રીતે અને પક્ષીઓની સુરક્ષાનું ધ્યાન રાખીને મકર સંક્રાંતિની ઉજવણી કરવા અપીલ કરી હતી.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 2:50 pm

કાલોલના રીંછિયા આટામાં 7 વર્ષની બાળકીને પતંગ કાઢતા કરંટ લાગ્યો:ગંભીર રીતે દાઝી ગયેલી બાળકીને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના રીંછિયા આટા ગામે એક 7 વર્ષની બાળકીને પતંગ કાઢતી વખતે વીજ કરંટ લાગ્યો હતો. ઝાડમાં ફસાયેલી પતંગ કાઢવાના પ્રયાસમાં બાળકી જીવંત વીજ વાયરના સંપર્કમાં આવી ગઈ હતી. ગંભીર રીતે દાઝી ગયેલી બાળકીને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. મળતી માહિતી મુજબ, રીંછિયા આટા ગામના મંદિર ફળિયામાં રહેતી આ બાળકી આજે પોતાના ઘર પાસે પતંગ ચગાવી રહી હતી. પતંગ ચગાવતી વખતે તેની પતંગ નજીકના એક ઝાડમાં ફસાઈ ગઈ હતી. બાળકી જ્યારે ઝાડમાંથી પતંગ ખેંચીને કાઢવાનો પ્રયાસ કરી રહી હતી, તે જ સમયે પતંગનો દોરો નજીકમાંથી પસાર થતા હાઈટેન્શન જીવંત વીજ વાયરના સંપર્કમાં આવી ગયો હતો. વીજ વાયરના સંપર્કમાં આવતા જ બાળકીને જોરદાર વીજળીનો ઝટકો લાગ્યો હતો અને તે હાથના ભાગે ગંભીર રીતે દાઝી ગઈ હતી. ઘટના બનતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. હાલ તબીબોની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 2:48 pm

પહેલા મારામારી અને પછી માફી માગી:વડોદરાના ઈન ઓર્બિટ મોલ પાસે યુવકે જાહેરમાં મારામારી કરી, પોલીસે ઝડપી પાડતા માફી માગીને કહ્યું: હું ખાતરી આપું છું કે આવી ભૂલ ફરી નહીં થાય

વડોદરાના ઈન ઓર્બિટ મોલ પાસે બે રાહદારીઓ વચ્ચે ધક્કામુક્કી તેમજ મારામારીની ઘટના બની હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેને પગલે ગોરવા પોલીસે એક યુવકની ધરપકડ કરી છે. યુવકે પોલીસ સ્ટેશનમાં માફી માગીને કહ્યું: હું ખાતરી આપું છું કે આવી ભૂલ ફરી નહીં થાય. વડોદરાના ઈન ઓર્બિટ મોલ પાસે આવેલા પેટ્રોલપંપ નજીક ગઈકાલે મોડી રાત્રે થયેલી મારામારીનો વિડીયો વાયરલ થયો હતો. ગોરવા પોલીસની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને વીડિયોના આધારે આરોપીની ઓળખ કરી અને તેને ઝડપી લીધો હતો. ક્રિશ મનીશભાઈ મખીજા (ઉંમર 20 વર્ષ, રહે. 307, આર્કોન અણપ, રાત્રી બજાર પાછળ, વડોદરા)ની ગોરવા પોલીસે ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી ક્રિશ મખીજાએ પોલીસને જણાવ્યું હતું કે, હું ગેંડા સર્કલથી બાપુની દરગાહ તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં એક વ્યક્તિ સાથે મારી બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ઝઘડો થયો હતો અને ધક્કામુક્કી પણ થઈ ગઈ હતી. આ ઘટના બદલ હું ખેદ વ્યક્ત કરું છું અને માફી માંગું છું. હું ખાતરી આપું છું કે આવી ભૂલ આગળથી ફરી નહીં થાય. ગોરવા પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ રાખી છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 2:40 pm

રાત્રે રિચાર્જ કરાવવા નીકળ્યા ને અકસ્માતનો ભોગ બન્યા:મકરપુરા GIDCમાં મજૂરને પૂરપાટ વાહનચાલકે અડફેટે લીધો, ઘટચનાસ્થળે જ મોત; ચાલક એક્સિડન્ટ કરી ફરાર

વડોદરા શહેરમાં અવારનવાર અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે ગત રાત્રે વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. શહેરના મકરપુરા GIDC વિસ્તારમાં 50 વર્ષીય મજૂર પિતરભાઈ લાલસિંગ ડામોરનું અજાણ્યા વાહનની ટક્કરથી મોત નીપજ્યું છે. આ અંગે મૃતકની પત્નીએ પોલીસ મથકમાં ફરીદા બંધાવી છે. રિચાર્જ કરાવવા ગયા હતા ને અકસ્માતનો ભોગ બન્યાઆ અંગે મૃતકના પત્ની રમીલાબેનને નોંધાવેલ ફરિયાદ મુજબ પતિ પિતરભાઈ મહાબલી ઈન્ડસ્ટ્રીઝ કંપની શેડની સામે ફૂટપાથ પર ઝૂંપડામાં રહે છે અને છૂટક મજૂરી કરીને જીવન ગુજારે છે. તેઓનું મૂળ વતન રાજસ્થાનના કુશલગઢ તાલુકાના મસ્કા છોટા ગામ છે. ગઈકાલે રાત્રે તેમના પતિ પિતરભાઈ મોબાઈલમાં રિચાર્જ કરાવવા માટે ઘરેથી નીકળ્યા હતા. તે સમયે રમીલાબેન ઝૂંપડામાં જમવાનું બનાવી રહ્યા હતા. અચાનક એક રાહદારીએ તેમને જાણ કરી કે, મકરપુરા જીઆઈડીસીમાં એક્યુટેસ્ટ સિસ્ટમ પ્રાઈવેટ લિમિટેડના ગેટ સામે તેમના પતિનું અકસ્માત થયું છે અને તેઓનું મોત થયું છે. આરોપી અકસ્માત કરીને ઘટનાસ્થળેથી ફરારઆ બનાવની જાણ થતા જ રમીલાબેન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તેમના પતિ રોડ પર મૃત હાલતમાં પડ્યા હતા. તેમને માથાના કપાળના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. આસપાસના લોકોએ જણાવ્યું કે અજાણ્યા વાહનચાલકે પુરઝડપે અને બેદરકારીથી વાહન હંકારીને પિતરભાઈને ટક્કર મારી હતી અને ત્યારબાદ ઘટનાસ્થળેથી નાસી ગયો હતો. હાલમાં આ ઘટના અંગે માંજલપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ પરિવારને સોંપવામાં આવશે. હાલામાં આ અકસ્માત સર્જી ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 2:38 pm

વલસાડમાં મકરસંક્રાંતિ પર્વે SPએ ગૌસેવા કરી:ગૌશાળાની મુલાકાત લઈ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી

સમગ્ર રાજ્યમાં મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં પણ દાન-પુણ્ય અને સેવાના મહત્વ સાથે આ તહેવાર ઉજવાયો. આ પ્રસંગે વલસાડ જિલ્લા પોલીસ વડા (SP) એ ગૌશાળાની મુલાકાત લીધી અને ગૌસેવા કરી. વલસાડ જિલ્લા પોલીસ વડાએ સ્થાનિક ગૌશાળાની મુલાકાત લીધી હતી, જ્યાં રખડતા અને બીમાર પશુઓની સારવાર તથા સેવા કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે હિન્દુ શાસ્ત્રોમાં મકરસંક્રાંતિના દિવસે ગૌસેવાનું વિશેષ મહત્વ છે. SPએ સ્વયં ગૌપૂજન કર્યું અને ગૌશાળા દ્વારા અબોલ પશુઓ માટે કરવામાં આવતી સેવાની પ્રશંસા કરી. પતંગોત્સવના આ પર્વ નિમિત્તે જિલ્લા પોલીસ વડાએ વલસાડવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે પતંગ અને દોરીનું ઉદાહરણ આપતાં કહ્યું કે, જેમ પતંગ અને દોરી એકબીજાના પૂરક બનીને આકાશમાં ઊંચાઈ સર કરે છે, તેમ નાગરિકો અને પોલીસ-વહીવટી તંત્ર સાથે મળીને સમાજના વિકાસ અને શાંતિ માટે કાર્ય કરે તે આવશ્યક છે. SPએ ખાસ કરીને યુવાનોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે પ્રગતિ માટે આકાશની કોઈ સીમા નથી. યુવાનોએ મુક્ત મને અને ઉત્સાહ સાથે પોતાના જીવનમાં પ્રગતિ કરવી જોઈએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વલસાડ પોલીસ હંમેશા નાગરિકોની સુરક્ષા અને સહયોગ માટે તત્પર છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 2:26 pm

દાહોદ LCBએ 1.35 કરોડનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો:ગરબાડા ચોકડી પાસે વાહન ચેકિંગમાં કન્ટેનરમાંથી મળ્યો, બે ઝડપાયા

દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ગરબાડા ચોકડી નજીકથી વાહન ચેકિંગ દરમિયાન રૂ. 1.35 કરોડથી વધુનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. દાહોદ જિલ્લો રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદે આવેલો હોવાથી બુટલેગરો દ્વારા ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ ઘુસાડવાના પ્રયાસો થતા રહે છે. LCB ને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઇન્દોર-ગોધરા નેશનલ હાઇવે પર બાલાજી હોટલ સામે એક બંધ બોડી આઇસર ટ્રક (નં. MP09GG7984) ને અટકાવવામાં આવી હતી. ટ્રકની તલાશી લેતા તેમાં પ્લાસ્ટિકના બબલ રોલની આડમાં છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જંગી જથ્થો મળી આવ્યો હતો. આ દારૂ મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો હતો. પોલીસે કુલ 814 પેટીઓમાંથી 33,066 બોટલ વિદેશી દારૂ અને બિયર જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા દારૂની કુલ કિંમત રૂ. 1,35,59,298/- આંકવામાં આવી છે. દારૂ ઉપરાંત, હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂ. 20,00,000/- ની કિંમતનો આઇસર ટ્રક, આરોપીઓ પાસેથી મળેલા રૂ. 10,000/- ના બે મોબાઇલ ફોન અને પ્લાસ્ટિકના બબલ રેપ રોલ સહિત કુલ રૂ. 1,55,70,798/- નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે. આ કાર્યવાહીમાં ટ્રકના ડ્રાઇવર અને ક્લીનર સહિત મધ્યપ્રદેશના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે દારૂ ક્યાંથી લવાયો હતો અને ગુજરાતમાં કયા સ્થળે પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. આ રેકેટ સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવાના પ્રયાસો પણ તેજ કરાયા છે. દાહોદ ટાઉન “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. LCB ની આ સફળ કામગીરીથી સરહદી વિસ્તારમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના બુટલેગરોના પ્રયાસોને મોટો ફટકો પડ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 2:26 pm

ગીર સોમનાથમાં ટોકન વિના ગેરકાયદેસર માછીમારી સામે કાર્યવાહી:પોલીસે ગુજરાત મત્સ્યોધ્યોગ અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો

ગીર સોમનાથ પોલીસે દરિયાઈ વિસ્તારમાં ગેરકાયદેસર માછીમારી કરતી એક હોડી સામે કડક કાર્યવાહી કરી છે. ટોકન લીધા વિના માછીમારી કરવા બદલ 'NIGAHE KARAM-1' નામની હોડીના માલિક સામે ગુજરાત મત્સ્યોધ્યોગ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જુનાગઢ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાના આદેશ મુજબ, એસ.ઓ.જી. શાખા દ્વારા સઘન દરિયાઈ પેટ્રોલિંગ અને હોડી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી અંતર્ગત, એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. કાગડા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એચ. સુવાએ વેરાવળના જાલેશ્વર બંદર ખાતે પેટ્રોલિંગ દરમિયાન 'NIGAHE KARAM-1' નામની હોડીની તપાસ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે હોડીના માલિક/સંચાલક પાસે માછીમારી માટે જરૂરી લાયસન્સ કે ઓનલાઈન ટોકન નહોતું. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ, હોડીના માલિક/સંચાલક વિરુદ્ધ ગુજરાત મત્સ્યોધ્યોગ નિયમો/સુધારા-2020 અને ગુજરાત મત્સ્યોધ્યોગ નિયમો-2003 હેઠળ સોમનાથ મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે દરિયાઈ સુરક્ષા, માછીમારીના નિયમોનું પાલન અને પર્યાવરણની સુરક્ષા માટે ભવિષ્યમાં પણ આવા ચેકિંગ અને કાર્યવાહી ચાલુ રહેશે. ગેરકાયદેસર માછીમારી કરનારા કોઈને પણ છોડવામાં આવશે નહીં તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 2:24 pm

બનાસકાંઠા LCB એ દારૂ ભરેલી ક્રેટા ઝડપી:ચાર આરોપી ફરાર, 11.57 લાખનો મુદ્દામાલ જપ્ત

બનાસકાંઠા જિલ્લા LCB એ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસે ક્રેટા ગાડી (નં. GJ 37 AB 1865) માંથી રૂ. 11,57,156/- નો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં દારૂની 1542 બોટલો અને વાહનનો સમાવેશ થાય છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શાંત સુંબેની સૂચના મુજબ, દારૂ અને જુગારના ગુનાઓ શોધી કાઢવા માટે LCB પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. LCB પોલીસ સ્ટાફ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. બાતમીના આધારે, તેઓ આખોલ ચાર રસ્તા ખાતે વોચ ગોઠવીને ઊભા હતા. તે દરમિયાન કંસારી તરફથી ઉપરોક્ત ક્રેટા ગાડી આવતા પોલીસે તેને રોકવાનો ઇશારો કર્યો હતો. જોકે, ચાલકે ગાડી ડીસા તરફ ભગાવી હતી. પોલીસે ખાનગી વાહનો દ્વારા ગાડીનો પીછો કર્યો હતો. ક્રેટા ગાડીના ચાલકે મહાદેવિયા ગામ તરફ જતા રસ્તા પર, પછી કાચા રસ્તા પર બાઇવાડા ગામ તરફ અને ત્યાંથી થેરવાડા ગામની સીમમાં ગાડી ભગાવી હતી. થેરવાડા ગામની સીમમાં ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા ગાડી ડિવાઇડર સાથે અથડાઈને પલટી મારી હતી. પોલીસ કોર્ડન કરવા પહોંચે તે પહેલાં જ ગાડીનો ચાલક ગાડી છોડીને ફરાર થઈ ગયો હતો. ગાડીની તપાસ કરતા તેમાંથી ગેરકાયદેસર અને પાસ-પરમિટ વગરની ભારતીય બનાવટની વિદેશી દારૂની 1542 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 3,42,156/- થાય છે. ક્રેટા ગાડી સહિત કુલ રૂ. 11,57,156/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓમાં વિનોદભાઈ નારણભાઈ જાદવ (ઉ.વ. 30, ધંધો: ડ્રાઈવિંગ, રહે. ગોગુવાડા, તા. દાંતીવાડા), દિલીપભાઈ હંસાભાઈ (ઉ.વ. 27, ધંધો: ડ્રાઈવિંગ, રહે. ગોગુવાડા, તા. દાંતીવાડા), દિનેશભાઈ (રહે. પાસવાળ) અને ક્રેટા ગાડીનો ચાલક હનુમાનનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ ફરાર છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 2:24 pm

અમદાવાદ એરપોર્ટમાંથી ગાંજા સાથે પકડાયેલી પંજાબી યુવતીને હાઇકોર્ટે જામીન આપ્યા:'બેગમાં 13 કિલો ગાંજા હતો, ગામ બહાર ગઈ નહોતી અને ભાઈ સાથે બેંગકોકથી ટ્રિપ મારી'

21 વર્ષીય પંજાબી યુવતી સંદીપ કૌર સહિત કુલ ત્રણ આરોપીઓ સામે DRI દ્વારા મે, 2025માં NDPS એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. યુવતી સહિતના શખ્સો બેંગકોકથી ફ્લાઈટમાં અમદાવાદ આવ્યા હતા. જેમને ચેકિંગ દરમિયાન બેગેજ કાઉન્ટર ઉપર ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપી અને સહ આરોપીના બેગેજમાંથી શંકાસ્પદ વસ્તુ મળી હતી. જે 39 કિલો હાઈડ્રોપોનિક ગાંજો હતો. બજારમાં તેની કિંમત કરોડો રૂપિયા થવા જાય છે. અમદાવાદ એરપોર્ટ પરથી 39 કિલો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપાયો હતોઆરોપીઓ પૈકી ઝડપાયેલી યુવતી સંદીપ કૌરે અમદાવાદ સીટી સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેને નકારી દેવાતા તેને ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ કિશન.એન.બ્રહ્મભટ્ટ દ્વારા જામીન અરજી દાખલ કરી હતી. જેમાં તેઓએ રજૂઆત કરી હતી કે આ કેસમાં તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને ચાર્જશીટ ફાઇલ થઈ ચૂકી છે. આરોપી 21 વર્ષની યુવાન છે. તે માત્ર ધોરણ 10 પાસ છે. તેની બેગમાં 13 કિલો જેટલો ગાંજો હોવાની તેને જાણ જ નહોતી. તે પંજાબના એક ગામડાની વ્યક્તિ છે. સામે સરકારી વકીલે દલીલ કરી હતી કે યુવતી સહિતના આરોપીઓ પાસેથી કુલ 39 કિલો જેટલો ગાંજો મળ્યો હતો. તે સ્મગલિંગ સિન્ડિકેટની સભ્ય છે. આરોપી પાસેથી મળેલો ગાંજો કોમર્શિયલ ક્વોન્ટિટીનો છે. તેની ઉપર ગંભીર ગુનો છે. યુવતીને 1 લાખના બોન્ડ ઉપર શરતી જામીન હાઇકોર્ટે આપ્યા કોર્ટે નોંધ્યું હતું કે કુલ 3 આરોપી સામે ગુનો નોંધાયો છે. જેમાં 21 વર્ષીય યુવતી સામે કોઈ પૂર્વ ગુના નોંધાયા નથી. તે તેના 23 વર્ષના ભાઈ સાથે તે ફોરેન ટ્રીપ પર ગઈ હતી. હજી આરોપી સામે ચાર્જફ્રેમ થયો નથી અને તે મે મહિનાથી પોલીસ કસ્ટડીમાં છે. ત્યારે યુવતીને 1 લાખના બોન્ડ ઉપર શરતી જામીન હાઇકોર્ટે આપ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 2:20 pm

છતર GIDCમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:નામ વગરના ગોડાઉનમાંથી દારૂની 5940 બોટલ સાથે 1.30 કરોડનો મુદ્દામાલ જપ્ત, 3ની ધરપકડ

ટંકારા પોલીસે મોરબી-રાજકોટ હાઈવે પર છતર ગામ નજીક આવેલી જીઆઈડીસીમાં એક નામ વગરના ગોડાઉન પર દરોડો પાડી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 1.30 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કુલ આઠ શખ્સો સામે ગુનો નોંધી બાકીના પાંચ આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે. ટંકારા તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે છતર જીઆઈડીસીમાં જલારામ પ્લાસ્ટિક નામના ગોડાઉનની બાજુમાં આવેલા એક નામ વગરના ગોડાઉનમાં દારૂનો જથ્થો સંગ્રહિત છે. આ ગોડાઉન મોરબીના પ્રિન્સ વિરેન્દ્રભાઈ ઝાલરીયાએ ભાડે રાખ્યું હોવાનું પણ જાણવા મળ્યું હતું. પોલીસે બાતમીના આધારે ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી આરજે 1 જીબી 5019 નંબરનું ટ્રક કન્ટેનર અને જીજે 36 વી 3401 નંબરની બોલેરો ગાડી મળી આવી હતી. દારૂની કુલ 5940 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 77.22 લાખ અંદાજવામાં આવી છે. આ ઉપરાંત, રૂ. 27.60 લાખની કિંમતના 27,600 પ્લાસ્ટિકના ચપલા પણ જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે દારૂ અને વાહનો સહિત કુલ રૂ. 1,30,02,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગોડાઉનમાંથી કમલેશ બાપુલાલ વડેરા (રહે. જોલાવટ, રાજસ્થાન), જીતમલ કાલીયા કટારા (રહે. રતનપુર, રાજસ્થાન) અને નાનીલાલ વાલીયા સીંગાડા (રહે. જાંબુડી, રાજસ્થાન)ની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન કહેરારામ હરખારામ (રહે. રાજસ્થાન), પ્રિન્સ વિરેન્દ્રભાઈ ઝાલરીયા (રહે. મોરબી), માણસુરભાઈ દેવદાનભાઈ ડાંગર (રહે. મોરબી), બોલેરોના ચાલક રાજુરામ (રહે. રાજસ્થાન) અને ટ્રક કન્ટેનરમાં દારૂનો જથ્થો મોકલનાર અજાણ્યા શખ્સ સહિત કુલ આઠ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ફરાર પાંચ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર કાર્યવાહી વાંકાનેર ડિવિઝનના ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારાના પીઆઈ કે.એમ. છાસીયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 2:19 pm

બોટાદમાં માંધાતા ભગવાનની 14મી શોભાયાત્રા:કોળી સમાજ દ્વારા પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો, ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા

બોટાદમાં માંધાતા ગુર્પ – કોળી સમાજ દ્વારા માંધાતા ભગવાનના પ્રાગટ્ય મહોત્સવની 14મી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 13 વર્ષથી આ પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે. આ શોભાયાત્રા શહેરના ગઢડા રોડથી શરૂ થઈ માર્કેટિંગ યાર્ડ સુધી લગભગ ત્રણ કિલોમીટર લાંબી હતી. તેમાં અંદાજે 150 ટુ-વ્હીલર, 45 ફોર-વ્હીલર અને 5 થ્રી-વ્હીલર વાહનો જોડાયા હતા. ડીજેના તાલે ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો. શોભાયાત્રામાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો અને યુવાનો પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા, જેના કારણે શહેરમાં ઉત્સવનો માહોલ છવાયો હતો. શોભાયાત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે સમાપ્ત થઈ હતી. આયોજનકર્તાઓએ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત આયોજન બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ અંગે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ માહિતી આપી હતી.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 2:17 pm

પોરબંદર પક્ષી સુરક્ષા માટે સજ્જ:કમિશનર હસમુખ પ્રજાપતિએ કરુણા અભિયાનની વિગતો આપી

પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર હસમુખ પ્રજાપતિએ મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે પોરબંદરવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે પતંગબાજીના આ ઉત્સવ દરમિયાન પક્ષીઓ ઘાયલ ન થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતા ‘કરુણા અભિયાન’ પર ભાર મૂક્યો હતો. કમિશનર પ્રજાપતિએ માહિતી આપતા જણાવ્યું કે, 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી ચાલનારા આ અભિયાનમાં શહેરની 30થી વધુ સેવાભાવી અને બિનસરકારી સંસ્થાઓ સહયોગ આપી રહી છે. પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓની પાંખો કપાઈ જવાના કિસ્સામાં વન વિભાગ અને આ સંસ્થાઓ દ્વારા ઓપરેશન સહિતની જરૂરી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. આજ રોજ અત્યાર સુધીમાં અંદાજે 15 જેટલા ઈજાગ્રસ્ત પક્ષીઓને રેસ્ક્યુ કરીને સારવાર કેન્દ્ર પર લાવવામાં આવ્યા છે. પક્ષીઓને નવજીવન આપવા માટે ડોક્ટરો અને સ્વયંસેવકોની ટીમ સતત કાર્યરત છે. કમિશનરે નગરજનોને અપીલ કરી હતી કે, પતંગ ચગાવતી વખતે પક્ષીઓ અને અન્ય નાગરિકોને ઈજા ન પહોંચે તેની કાળજી રાખવી. તેમણે ઉત્સવના આનંદની સાથે અબોલ જીવોની સુરક્ષા પ્રત્યે પણ સજાગ રહેવા જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 2:15 pm

મોરબીમાં સગીરાએ 11મા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો:અભ્યાસના તણાવને કારણે અંતિમ પગલું ભર્યું: પોલીસ તપાસ શરૂ

મોરબીના રવાપર ઘૂનડા રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં વહેલી સવારે એક સગીરાએ 11મા માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું છે. પ્રાથમિક તપાસમાં અભ્યાસના તણાવને કારણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની વિગત મળતી માહિતી મુજબ, રવાપર ઘૂનડા રોડ પર સ્થિત 'કસોરા 11' (Kasora 11) એપાર્ટમેન્ટના બ્લોક નંબર 503માં રહેતા સુનિલ માલાસણાની 16 વર્ષીય પુત્રી દેવાંગીએ વહેલી સવારે બિલ્ડિંગની છત પરથી ઝંપલાવ્યું હતું. 11મા માળેથી પટકાવાને કારણે ગંભીર ઈજાઓ થતા સગીરાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પોલીસ કાફલો દોડી ગયોતપાસ અને કાર્યવાહી ઘટનાની જાણ થતા જ મોરબી એ-ડિવિઝન પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તપાસ અધિકારી વિપુલ ફુલતરિયાની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, મૃતક દેવાંગી છેલ્લા કેટલાક સમયથી અભ્યાસના ભારણને લીધે માનસિક તણાવમાં રહેતી હતી. આ ટેન્શનમાં જ તેણે આઘાતજનક પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. અકસ્માતથી મોતનો ગુનો નોંધ્યોપોલીસે સગીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. એ-ડિવિઝન પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 2:14 pm

મંત્રી પી.સી. બરંડાએ શામળાજીમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી:પતંગ ચગાવી રાજ્યની જનતાને શુભેચ્છાઓ પાઠવી

રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પી.સી. બરંડાએ યાત્રાધામ શામળાજી ખાતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. તેમણે શામળાજી મંદિર પરિસરમાં પતંગ ચગાવી રાજ્યની જનતાને ઉત્તરાયણની શુભેચ્છાઓ પાઠવી હતી. ભીલોડા-મેઘરજ વિધાનસભાના સભ્ય અને રાજ્ય સરકારમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી તરીકે, પી.સી. બરંડાએ તેમના વિસ્તારમાં આવેલા નવરચિત શામળાજી તાલુકાના યાત્રાધામ શામળાજી મંદિર પરિસરમાં આ ઉજવણી કરી હતી. આ પ્રસંગે તેમની સાથે ભીલોડા તાલુકા ભાજપ સંગઠન અને મંદિર ટ્રસ્ટના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી પી.સી. બરંડાએ જણાવ્યું હતું કે, શામળાજી નવો તાલુકો બન્યા બાદ પ્રથમ વખત ભગવાનના સાનિધ્યમાં ઉત્તરાયણની ઉજવણી કરવાનો અવસર મળ્યો છે. તેમણે આ પાવન પર્વ નિમિત્તે રાજ્યની સમગ્ર જનતાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 2:13 pm

બોડેલીમાં સ્કોર્પિયો દુકાનના ઓટલા સાથે અથડાઈ:ગાડીમાંથી દારૂનો ખાલી ગ્લાસ મળ્યો, ચાર શખ્સો ભાગતા સીસીટીવીમાં કેદ

બોડેલીના અલીપુરા વિસ્તારમાં ગત રાત્રિ દરમિયાન એક સ્કોર્પિયો ગાડી રેલિંગ તોડી દુકાનના ઓટલા સાથે અથડાઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, જેના કારણે રાહત થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કાળા રંગની સ્કોર્પિયો ગાડી (નંબર GJ 34 B 444) ના ચાલકે રાત્રિના સમયે બેફામ રીતે ગાડી ચલાવતી વખતે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. ગાડી બે રસ્તાની વચ્ચે લગાવેલી લોખંડની રેલિંગ તોડીને રસ્તાની બાજુમાં આવેલી એક દુકાનના ઓટલા સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત થતાં જ ગાડીમાં સવાર ચાર વ્યક્તિઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બોડેલી પોલીસને અકસ્માતની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે ગાડી કબજે લીધી હતી અને તેની તપાસ કરતા ગાડીમાંથી સરપંચ ઠલકી ગ્રામ પંચાયતની નેમ પ્લેટ મળી આવી હતી. આ ઉપરાંત, ગાડીમાંથી એક દારૂનો ખાલી ગ્લાસ પણ મળી આવ્યો હતો, જેના આધારે ગાડીમાં દારૂની મહેફિલ જામી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બોડેલી પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાત્રે થયેલા આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ગાડી ઓટલા સાથે ધડાકાભેર અથડાતી સ્પષ્ટપણે દેખાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 2:10 pm

સોશિયલ મીડિયાની મિત્રતા ઝઘડાનું કારણ, રૂપાણી સર્કલ નજીક ફોરવ્હિલમાં તોડફોડ:ઇન્સ્ટાગ્રામમાં બ્લોક કરતા મહિલાને મારી નાખવાની ધમકી, બે શખ્સો સામે પોલિસ ફરિયાદ

ભાવનગર શહેરના રૂપાણી સર્કલ નજીક એક મહિલાના ઇન્સ્ટાગ્રામના મિત્રએ તે મને કેમ ઇન્સ્ટાગ્રામમાં બ્લોક કર્યો છે તેમ મહિલાને કહી ઉશ્કેરાઈ ભૂંડાબોલી ગાળો આપી મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ફોરવ્હીલને નુકશાન પહોંચાડયાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ઘોઘા રોડ પોલીસ મથકે બે ઇસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. યુવતીએ તેના 2 મિત્ર સામે ફરિયાદ નોંધાવીઘોઘા રોડ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, રૂપાણી સર્કલ નજીક આવેલ શાંતિજ્યોત બિલ્ડિંગ ફ્લેટમાં રહેતી શેરી ગુપ્તાએ ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા ધરાવતા નિત બારૈયા અને તેના એક અજાણ્યા સાથી સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ ગત 13 જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે ફરિયાદી મીઠાઈ લઈને ઘરે આવી અને ફ્લેટની નીચે ઉભી હતી, ત્યારે નિત બારૈયા અને તેનો મિત્ર ટુ-વ્હીલર પર ત્યાં પહોંચ્યા હતા. યુવક ઉશ્કેરાઈ જઈને યુવતીને ગાળો આપવા લાગ્યોઆ સમયે નિત બારૈયાએ ફરિયાદીને પૂછ્યું હતું કે તેને ઇન્સ્ટાગ્રામ પર કેમ બ્લોક કર્યો છે. જેના જવાબમાં ફરિયાદીએ જણાવ્યું કે નિત બારૈયા ઇન્સ્ટાગ્રામ પર અશ્લીલ ગાળો આપતો અને વારંવાર જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાથી તેને બ્લોક કરવામાં આવ્યો હતો. આ વાત સાંભળતાં જ નિત બારૈયા ઉશ્કેરાઈ ગયો અને ભુંડાબોલી ગાળો આપવા લાગ્યો હતો. લોખંડના પાઈપથી ગાડીનું બોનેટ તોડ્યુંફરિયાદ મુજબ, ગાળો ન બોલવા કહેતા નિત બારૈયા અને તેના સાથીએ તલવાર અને લોખંડનો પાઈપ કાઢી ફરિયાદીની ફોરવ્હિલ ગાડીના આગળ-પાછળ તથા સાઈડના કાચ તોડી નાંખ્યા હતા. એટલું જ નહીં, લોખંડના પાઈપથી ગાડીનું બોનેટ તોડી ભારે નુકસાન પહોંચાડ્યું હતું. જાનથી મારી નાખવાની ધમકી આપી ફરારબનાવ દરમિયાન ચીસાચીસ થતા આજુબાજુના લોકો ભેગા થઈ જતા બંને આરોપીઓ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે નિત બારૈયા અગાઉ પણ વારંવાર ફરિયાદીનો પીછો કરતો અને ધમકીઓ આપતો હતો. બે યુવક સામે ફરિયાદ નોંઘાઈઆ સમગ્ર મામલે ઘોઘા રોડ પોલીસે નિત બારૈયા તથા એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ બીએનએસ કલમ 352, 351(3), 324(4), 78 તેમજ જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધ્યો છે અને પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 2:06 pm

પોરબંદર દરિયામાં ગેરકાયદે લાઇટ ફિશિંગ ઝડપાયું:બે આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી શરૂ

પોરબંદરના દરિયાઈ વિસ્તારમાં ગેરકાયદેસર લાઇટ ફિશિંગ થતું હોવાની બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. દરિયાઈ નિયમોનું ઉલ્લંઘન કરીને થતી માછીમારી અંગેની ફરિયાદોને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારે લગભગ 10 વાગ્યાની આસપાસ આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સિરાજ ઓસમાણ પટેલીયા અને સરફરાજ ઇસ્માઇલ પટેલીયા અનધિકૃત રીતે લાઇટ ફિશિંગ કરતા ઝડપાઈ ગયા હતા. લાઇટ ફિશિંગ પદ્ધતિ દરિયાઈ જીવસૃષ્ટિ અને માછલીઓના પ્રજનન પર હાનિકારક અસર કરતી હોવાથી તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બંને આરોપીઓ વિરુદ્ધ સંબંધિત કાયદાકીય કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે દરિયાઈ વિસ્તારમાં ગેરકાયદેસર માછીમારી રોકવા માટે ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 1:55 pm

નવસારીમાં ધારદાર દોરીથી એક ઇજાગ્રસ્ત:ગણદેવી રોડ પર ઘટના, નાક-કાનના ભાગે ઊંડો કાપો પડ્યો

ઉતરાયણના તહેવાર દરમિયાન નવસારી-ગણદેવી રોડ પર પતંગની ધારદાર દોરીથી એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. નવાગામ પાસે બાઈક પર જઈ રહેલા 45 વર્ષીય સુમન નાયકાના નાક અને કાનના ભાગે દોરી વાગતા ઊંડો કાપો પડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, સુમન નાયકા તેમના પુત્ર સાગર નાયકા સાથે બાઈક પર નવસારીથી ઈચ્છાપુર તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં સાગરને એક દોરી દેખાતા તેણે તેને પાછળ ફેંકી હતી.જોકે, પાછળ બેઠેલા સુમન નાયકાના નાક અને કાનના ભાગે તે દોરી ફરી વળતા તેમને ગંભીર ઈજા થઈ હતી. તાત્કાલિક તેમને નવસારી શહેરની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.પારસી હોસ્પિટલના ડોક્ટરોએ સુમન નાયકાને ઇમર્જન્સી સારવાર આપી, નાક અને કાનના ભાગે ટાંકા લઈને તેમનો જીવ બચાવ્યો હતો. આજે સમગ્ર દિવસ દરમિયાન બાઇક ચાલકોને રોડ ઉપરથી પસાર થતી વેળા સાવચેતી રાખવી પડશે, કારણ કે ધારદાર દોરો કોઈપણ સમયે કોઈપણ દિશામાંથી આવી ચેહરાને ઇજાગ્રસ્ત બનાવી શકે છે સાથે જ ગળા પર જો દોરો આવે તો તેનાથી ગળું કપાવવાની સંભાવના પણ રહેલી છે ભૂતકાળમાં આવી ઘટનાને કારણે અનેક લોકોના મોત થવા સાથે મોટાભાગના બાઈક ચાલકો ઈજાગ્રસ્ત પણ થયા છે, ત્યારે આ મામલે સામાજિક સંસ્થાઓ તેમજ સરકારે ઉતરાયણ અગાઉ સેફટી ગાર્ડ અનેક બાઇકો ઉપર નિશુલ્ક લગાવી આપ્યા છે તેમજ ગળા ઉપર પહેરવા માટે સેફ્ટી માસ્ક પણ આપ્યા છે જેથી બાઇક ચાલકો સાવચેતી પૂર્વક આજે સમગ્ર દિવસ દરમિયાન વાહન હાકે તે જરૂરી છે. ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને 9 મી જાન્યુઆરીના રોજ નવસારી પોલીસ વિભાગ દ્વારા વાહન ચાલકોની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પતંગની ધારદાર દોરીથી ટુ-વ્હીલર ચાલકોના ગળા કપાવવાની ગંભીર ઘટનાઓ રોકવા માટે ટ્રાફિક વિભાગ, ટાઉન પોલીસ અને ગ્રામ્ય પોલીસના સંયુક્ત ઉપક્રમે સેફ્ટી સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 1:52 pm

વડોદરામાં વહેલી સવારે પવન ન રહેતા પતંગ રસિયાઓ નિરાશ:જલેબી અને ઊંધિયું લેવા દુકાનોમાં ભીડ; સાંસદે કાર્યકર્તાઓ સાથે ઉતરાયણ ઉજવી, પક્ષી ઘાયલ થાય તો આ નંબર પર સંપર્ક કરો

આજે મકરસંક્રાંતિનો તહેવાર છે ત્યારે વડોદરા શહેરમાં પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. વડોદરામાં વહેલી સવારે પવનની ગતિ ધીમી હોવાથી પતંગ રસીકો નિરાશ થયા હતા. પરંતુ હાલમાં પવનની ગતિ વધતા જ પતંગ રસિકોની ભીડ ધાબા પર જોવા મળી રહી છે. આ સાથે વડોદરાના સાંસદ ડો હેમાંગ જોશીએ કાર્યકર્તાઓ સાથે ઉતરાયણ પર્વની ઉજવણી કરી હતી. જલેબી અને ઊંધિયું લેવા માટે દુકાનો પર ભીડ વડોદરા શહેરમાં વહેલી સવારે પતંગ રસિયાઓને નિરાશ મળી હતી પરંતુ જલેબી અને ઊંધિયું લેવા માટે ભારે ભીડ દુકાનો પર જોવા મળી હતી. હાલમાં પવનની ગતિ ધીરે ધીરે વધી રહી છે ત્યારે હાલમાં રંગબે રંગી પતંગોથી વડોદરાનું આકાશ છવાઈ ગયુ છે. આ સાથે અબોલા જીવોના રક્ષણ માટે વોલિયન્ટર સત્તત નજર રાખી રહ્યા છે. વડોદરાનું આકાશ પતંગોથી રંગાયેલું છે ઉતરાયણના પર્વને લઈ વડોદરાના સાંસદે જણાવ્યું હતું કે, વડોદરાએ ઉત્સવપ્રિય નગરી છે અને વડોદરા હોય કે ગુજરાત, હંમેશા જે ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાની અંદર ઉત્તરાયણ, પતંગ, ગરબા આ બધી વસ્તુઓ ગુજરાતીના DNA ની અંદર હોય છે. અત્યારે તો પવન ઓછો છે, તો પણ વડોદરાનું આકાશ પતંગોથી રંગાયેલું છે અને વડોદરાની અંદર તમામ નાગરિકો પરિવારજનો, મિત્રો સાથે મળી અને આ પર્વની રંગેચંગે ઉજવણી કરતા હોય ત્યારે, ભારતીય જનતા પાર્ટી પરિવાર સાથે મળી વડોદરાના મધ્યમાં અમારા સાથી કાર્યકર્તાઓ સાથે, અમારા વોર્ડના પ્રમુખ, તમામ સંગઠનના કાર્યકર્તાઓ, કાઉન્સિલરો સાથે મળી અને ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી રહ્યા છે. અને આપ સૌને પણ આ પર્વની ઉજવણી કરવા માટે હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. ચાર જગ્યાએ કેમ્પનું આયોજનવાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારે જણાવ્યું હતું કે, 2006થી આ અમારી સેવા કાર્યરત છે અને આજે વર્ષ 2026માં પણ કાર્યરત છે. અમે લોકો દર વર્ષની જેમ આ વખત ચાર જગ્યાએ કેમ્પનું આયોજન કર્યું છે. જે મુખ્ય કેમ્પ અમારો ગાંધીનગર ગૃહ છે. બીજા નંબરનો કેમ્પ મલ્હારપાર્ક ચાર રસ્તા, કારેલીબાગ. ત્રીજા નંબરનો ગોરવા આઈ.ટી.આઈ (ITI) પાસે. ચોથા નંબરનો વાઘોડિયા રોડ, જે 12 તારીખથી ચાલુ થયો છે અને એ 17 તારીખ સુધી ચાલુ રહેશે. આ સાથે બાકીના અમારા ત્રણ કેમ્પ છે એ 14-15, પણ એના સિવાય 365 દિવસ તમે જ્યારે બી ફોન કરશો તો અમારી સેવાઓ ચાલુ રહેશે. ટીમના 200 વોલેન્ટિયર વડોદરામાં સક્રિયવધુમાં કહ્યું કે, મારી ટીમના 200 વોલેન્ટિયર વડોદરામાં સક્રિય છે, બર્ડ્સ રેસ્ક્યુ માટે અને અધર એનિમલ માટે પણ અવિરત મળી ટીમ કાર્યરત હોય છે. હમણાં કબૂતરના કોલ આવ્યા છે. હવે અમે લોકો આ બધો આંકડો સાંજે કાઢીએ છીએ. સાંજે જ્યારે કેમ્પનું શટડાઉન કરીએ છીએ ને ત્યારે બધો આંકડો સામે આવશે. લોકોને એક જ અપીલ છે કે તમે સવારે અર્લી મોર્નિંગ, આ જે ઉતરાયણનો પર્વ છે એ દિવસે તમે સવારે 9:00 વાગ્યા પહેલા પતંગ ના ચગાવો અને સાંજે 5:00 વાગ્યા પછી પતંગ ના ચગાવો કારણ કે પક્ષીને માળામાંથી બહાર નીકળવાનું હોય છે ચણવા માટે અને સાંજે રિટર્ન આવવાનું હોય છે. એ સમય ખાલી તમે સાચવી લો તો ઘણા પક્ષીઓ તમે બચાવી શકો છો. ગાંધીનગર ગૃહ જ્યુબેલીબાગ, વડોદરા તુષાર ઉતેકર: ૮૪૦૧૫ ૯૪૪૧૨ અરવિંદ પવાર: ૯૯૭૪૫ ૫૪૪૬૬ સુવાસ પટેલ: ૯૯૨૫૩ ૨૫૩૦૧ હાર્દિક પવાર: ૯૧૦૪૧ ૬૬૪૩૪ ઝી અભિષેક: ૯૧૩૭૧ ૮૦૩૦૭ કિરણ શર્મા: ૯૪૨૭૧ ૩૯૬૦૬ યુવરાજસિંહ રાજપુત: ૯૫૫૮૩ ૫૫૭૮૩ ૯૭૭૩૨ ૫૧૫૩૩

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 1:51 pm

દાહોદ LCBએ 36.74 લાખનો દારૂ ઝડપ્યો:ગુજરાત-MP સરહદે વિદેશી દારૂ ભરેલા ટ્રક સાથે એક આરોપીને ઝડપી લીધો

દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ગુજરાત-મધ્યપ્રદેશ સરહદે કતવારા વિસ્તારમાંથી ₹36.74 લાખનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં એક આઇસર ટ્રક અને અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. દાહોદ જિલ્લો ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલો હોવાથી બુટલેગરો દ્વારા ગેરકાયદેસર રીતે દારૂ ગુજરાતમાં ઘુસાડવાના પ્રયાસો થતા રહે છે. આ પ્રવૃત્તિઓ અટકાવવા માટે દાહોદ LCB દ્વારા સતત સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિઓ પર કડક અંકુશ લાવવા LCB ટીમને ખાસ કામગીરી સોંપવામાં આવી હતી. આ સૂચનાના આધારે, LCBની ટીમોએ ગુજરાત-મધ્યપ્રદેશ સરહદી વિસ્તારમાં વોચ ગોઠવી હતી. કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારના ખંગેલા ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન, મધ્યપ્રદેશ તરફથી ગોધરા તરફ જઈ રહેલો એક બંધ બોડી આઇસર ટ્રક (રજી. નં. MP09GH5071) શંકાસ્પદ જણાતા તેને અટકાવી તપાસ કરવામાં આવી. ટ્રકની તપાસ કરતા, પ્લાસ્ટિકના કુલર ફ્રેમની આડમાં છુપાવવામાં આવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો. LCB પોલીસે કુલ 271 પેટીઓમાંથી 7,188 બોટલ વિદેશી દારૂ અને બિયર ઝડપી પાડ્યા, જેની કિંમત ₹21,69,564 આંકવામાં આવી છે. દારૂ ઉપરાંત, દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ આઇસર ટ્રક (કિંમત ₹15,00,000), એક મોબાઇલ ફોન (₹5,000) અને અન્ય સામગ્રી સહિત કુલ ₹36,74,564નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન ટ્રક ચાલક જયરામ સન ઑફ તેજારામ (ઉંમર 27 વર્ષ, રહેવાસી રાજસ્થાન) ને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં કયા સ્થળે પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે કતવારા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં LCB દાહોદના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. ગામેતી, ડી.આર. બારૈયા, પીએસઆઈ આર.વી. રાઠોડ, એન.બી. પરમાર સહિતના અધિકારી-કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. દાહોદ LCBની આ કાર્યવાહીથી સરહદી વિસ્તારમાં દારૂની હેરાફેરી કરતા તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 1:49 pm

નવસારીમાં આંતરરાજ્ય ‘મટરુ ગેંગ’ ઝડપાઈ:200 CCTV તપાસી LCBએ ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર કર્યો

નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ શહેરમાં થયેલી ધોળા દિવસની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આંતરરાજ્ય 'મટરુ ગેંગ'ના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી થયેલો ₹11.72 લાખનો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. આ ઘટના 12 જાન્યુઆરીના રોજ ટાઉન વિસ્તારમાં બની હતી. આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, LCB સીનિયર પીઆઈ વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે શહેરના 200થી વધુ CCTV ફૂટેજ તપાસ્યા હતા અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આરોપીઓના લોકેશન ટ્રેક કર્યા હતા. ડિજિટલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મળેલી બાતમી મુજબ, આરોપીઓ નવસારી રેલ્વે સ્ટેશન ગરનાળા પાસે છુપાયેલા હતા. પોલીસે ત્યાં દરોડો પાડી ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹11,72,522 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમાં ₹10,63,409 ની કિંમતના સોનાના દાગીના (બંગડીઓ, કડા, બોલ માળા, ડોકિયું અને બુટ્ટી), ₹73,171 ની કિંમતની ચાંદીની વસ્તુઓ (19 સિક્કા, લગડી અને ગ્લાસ), ₹10,340 રોકડ, પાંચ મોબાઈલ ફોન અને ચોરીમાં વપરાયેલ સાધનો (ડીસમિસ અને કટર) નો સમાવેશ થાય છે. આ ગેંગ ચોરી કરવા માટે એક ચોક્કસ પદ્ધતિ અપનાવતી હતી. તેઓ ટ્રેન દ્વારા જુદા જુદા રાજ્યોમાં મુસાફરી કરતા અને સ્થાનિક હોટલોમાં રોકાતા હતા. દિવસ દરમિયાન રહેણાંક વિસ્તારોમાં રેકી કરીને બંધ મકાનોને નિશાન બનાવતા હતા. ચોરી કરવા માટે, તેઓ કટર અથવા મોટા સ્ક્રૂ ડ્રાઈવર (ડીસમિસ) નો ઉપયોગ કરીને દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશતા હતા. કિંમતી સામાનની ચોરી કર્યા બાદ તેઓ સ્થળ પરથી ફરાર થઈ જતા હતા. ઝડપાયેલા આરોપીઓમાં લલિત ઉર્ફે કાલુ શિવજી સાહુ (મૂળ બિહાર, હાલ દિલ્હી), સંદીપ ઉર્ફે મોનુ ઓમપ્રકાશ ધનખડ (રહે. ઝજ્જર, હરિયાણા) અને જીશન ઉર્ફે ગોપાલ જગદીશરાજ શર્મા (રહે. ભવાના, ન્યુ દિલ્હી) નો સમાવેશ થાય છે. લલિત ઉર્ફે કાલુ શિવજી સાહુ સામે સુરત, વડોદરા અને રાજસ્થાનમાં પણ ગુના નોંધાયેલા છે. સંદીપ ઉર્ફે મોનુ ઓમપ્રકાશ ધનખડ દિલ્હીના વિવિધ વિસ્તારોમાં અગાઉ અનેકવાર પકડાઈ ચૂક્યો છે. આ કામગીરીમાં LCBના પીઆઈ વી.જે. જાડેજા, એસ.વી. આહિર, પીએસઆઈ વાય.જી. ગઢવી, એમ.બી. ગામીત અને તેમની ટીમનો મહત્વનો ફાળો રહ્યો હતો. નવસારી ટાઉન પોલીસ હવે આ ગેંગ અન્ય કયા ગુનાઓમાં સંડોવાયેલી છે તેની વધુ તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 1:47 pm

પાટણ નેત્રમ ટીમે ગુમ મોબાઈલ શોધી પરત કર્યો:રીક્ષામાં ભૂલાયેલો 12,000નો મોબાઈલ CCTVની મદદથી મળ્યો

પાટણ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની ટીમે VISWAS પ્રોજેક્ટ હેઠળ CCTV કેમેરાની મદદથી રીક્ષામાં ભૂલાયેલો એક કિંમતી મોબાઈલ શોધી કાઢ્યો છે. આ મોબાઈલ તેના મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યો હતો. પાટણ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પોલીસ અધિક્ષક વી.કે. નાયીની સૂચના મુજબ, જિલ્લામાં VISWAS પ્રોજેક્ટ હેઠળના CCTV કેમેરાનો ઉપયોગ કરીને પ્રજાલક્ષી કામગીરી કરવામાં આવે છે. આ અંતર્ગત, પાટણના રહેવાસી પરેશભાઈ ઠક્કરે નેત્રમનો સંપર્ક કરીને જણાવ્યું હતું કે તેઓ સિદ્ધપુર ચાર રસ્તા પાસેથી રીક્ષામાં મુસાફરી કરતી વખતે આશરે ₹12,000ની કિંમતનો વિવો કંપનીનો મોબાઈલ રીક્ષામાં ભૂલી ગયા હતા. પરેશભાઈની ફરિયાદ મળતા જ નેત્રમ ટીમે તાત્કાલિક સર્વેલન્સ કેમેરાના ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું. CCTV ફૂટેજના આધારે, ટીમે સંબંધિત રીક્ષાની ઓળખ કરી તેનો નંબર GJ38WA3372 મેળવ્યો. રીક્ષા ચાલકનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે પરેશભાઈ ઉતર્યા બાદ અન્ય એક અજાણ્યા મુસાફર રીક્ષામાં બેઠા હતા જેઓ રૂની ખાતે ઉતર્યા હતા. નેત્રમની ટીમે તાત્કાલિક રૂની પહોંચી તપાસ કરતા ખોવાયેલો મોબાઈલ મળી આવ્યો. પોલીસે આ મોબાઈલ પરેશભાઈ ઠક્કરને પરત સોંપ્યો. આ કામગીરીમાં પો.સ.ઈ. એચ.એસ. પટેલ, પો.વા.સ.ઈ. જે.એલ. રાજપુત, સીનીયર એન્જીનીયર દિપક ઠક્કર અને આ.પો.કો. મહેશકુમાર ભુદરભાઇ જોડાયા હતા. પોતાનો કિંમતી મોબાઈલ પરત મળતા પરેશભાઈએ પાટણ પોલીસ અને નેત્રમ ટીમનો આભાર માન્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 1:46 pm

જામનગર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:હાર્દિક પંડ્યા રવાના થયા બાદ ઈ-મેઈલ મળ્યો, સર્ચ ઓપરેશન શરૂ

દેશના અત્યંત સંવેદનશીલ ગણાતા જામનગર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની અજ્ઞાત શખ્સ દ્વારા ઈ-મેઈલ મારફતે ધમકી આપવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આ ધમકીભર્યો મેઈલ મળતા જ એરપોર્ટ ઓથોરિટી સહિત પોલીસ કાફલો અને બોમ્બ સ્ક્વોડ તાબડતોબ એરપોર્ટ પર પહોંચી ગઈ છે અને સમગ્ર પરિસરને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. હાર્દિક પંડ્યાની વિદાય બાદ ધમકી મળતા તંત્ર વિશેષ વિગતો મુજબ, ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા જામનગર એરપોર્ટથી રવાના થયાના થોડા જ સમય બાદ આ ધમકીભર્યો મેઈલ મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વહીવટી પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ તુરંત હરકતમાં આવી ગઈ હતી. જામનગર એસપી ડો. રવિ મોહન સૈની, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિત એસઓજી અને એલસીબીની ટીમોએ એરપોર્ટ પર ધામા નાખ્યા છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગજામનગર એરપોર્ટ એરફોર્સના કાર્યક્ષેત્ર (ડિફેન્સ એરિયા) હેઠળ આવતું હોવાથી તેને ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. ધમકીના પગલે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી એરપોર્ટના ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી રહી છે. ફ્લાઈટમાં આવતા અને જતા તમામ મુસાફરોનું કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. હાલ પૂરતું એરપોર્ટની અંદર કોઈપણ અજાણ્યા વ્યક્તિના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડની ટીમો અને એમ્બ્યુલન્સને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આર્મી અને એરફોર્સના અધિકારીઓની દોડધામએરપોર્ટ સંકુલમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. આર્મી અને એરફોર્સના ઉચ્ચ અધિકારીઓની ગાડીઓની અવરજવર પણ વધી ગઈ છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ ધમકીભર્યા ઈ-મેઈલના મૂળ સુધી પહોંચવા માટે સાયબર સેલની પણ મદદ લેવામાં આવી રહી છે. હાલમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર એરપોર્ટ પરિસરમાં સર્ચ ઓપરેશન ચાલુ છે, જોકે હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 1:32 pm

યુવકનું માથું લોખંડની જાળીમાં ભટકાડ્યું, લાત-મુક્કાઓથી માર્યો:પ્રત્યકદર્શી:વડોદરાના જશોદાનગરમાં યુવકની હત્યા, ઉત્તરાયણ પર્વમાં પરિવારનો કુળદીપક બુઝાયો

વડોદરા શહેરના મકરપુરા ડેપો પાછળ આવેલા જશોદાનગર વિસ્તારમાં એક યુવકની નિર્મમ હત્યા થઈ છે. યુવક ભત્રીજીના જન્મદિવસની ઉજવણી કરીને ઘરે જવા નીકળી રહ્યો હતો, આ સમયે તેની હત્યા થઈ હતી. જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાવી દીધો છે. ઘટનાને પગલે મકરપુરા પોલીસની ટીમ ઘટના દોડી ગઈ હતી અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. યુવક ભત્રીજીના જન્મદિવસની ઉજવણી કરીને ઘરે જવા નીકળ્યો ને પતાવી દીધોસુશીલાબેન પત્ની બિટુ ગજાનંદ પટેલ (ઉંમર 45, રહેવાસી એ/8, શિવશક્તિનગર, જશોદા કોલોની, મકરપુરા, વડોદરા)એ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના દીયર અનુપ ગજાનંદ પટેલ (ઉંમર 40) તેમની પત્ની સુનિતાબેન તથા બાળકો સાથે આમ્રપાલી કોમ્પ્લેક્ષ, ફ્લેટ નં. એફ-1, પહેલો માળ, મકરપુરા એરફોર્સ સ્ટેશન પાસે રહે છે. અનુપભાઈ જીઇવરનોવા કંપની, હાલોલ ખાતે શિફ્ટ વાઇઝ નોકરી કરે છે. ચાવીને લઈને બોલાચાલી થઈને ઝઘડો વધ્યો13 જાન્યુઆરીના રોજ રાત્રે અંદાજે 9:30 વાગ્યે મારી મોટી દીકરી અંશીકાનો જન્મદિવસ હોવાથી અનુપભાઈ અમારા ઘરે આવ્યા હતા. ત્યાં થોડીવાર બેસીને બર્થડે વિશ કર્યા બાદ તેઓ નોકરી માટે નીકળ્યા હતા. ઘરની બહાર વાતચીત દરમિયાન અચાનક પડોશી રાહુલ યાદવ (મનુ યાદવનો દીકરો) તથા તેની સાથેનો બીજો એક વ્યક્તિ આવ્યો હતો અને અનુપભાઈ સાથે ચાવીને લઈને બોલાચાલી ઝઘડો શરૂ કરી દીધો હતો. રાહુલે અનુપભાઈને બે-ત્રણ થપ્પડ માર્યા હતા. મેં તેમને છુટા પાડ્યા હતા, પરંતુ થોડીવાર બાદ ફરી ઝઘડાનો અવાજ આવતા બહાર આવ્યા તો રાહુલ યાદવ ફરીથી અનુપભાઈને મારવા લાગ્યો હતો. આ દરમિયાન મારા મમ્મી-પપ્પા, બહેન મંજુ, ભાઈ સંજીવ, ભાભી મમતાબેન વગેરે પણ આવી ગયા હતા અને ઝઘડો અટકાવવાના પ્રયાસ કર્યા હતા. લોખંડની ગ્રીલ સાથે અથડાવ્યા અને નીચે પાડી દીધોત્યારબાદ સુભાષ યાદવ પણ આવીને અનુપભાઈને મારવા લાગ્યા હતા. રાહુલે મારું ગળું પકડી લીધું અને તેમની સાથે તથા બહેન-ભાઈ સાથે પણ મારામારી કરી હતી. અનુપભાઈ ઘરમાં ઘુસવાની કોશિશ કરતા તેમને લોખંડની ગ્રીલ સાથે અથડાવ્યા અને નીચે પાડી દીધા હતા. આ દરમિયાન મનુ યાદવ (રાહુલના પિતા) દંડો લઈને આવ્યા અને અનુપભાઈને મારવા લાગ્યા હતા. અનુપભાઈ ઘરમાં ઘુસી ગયા તો રાહુલ પણ તેમની પાછળ ઘરમાં ઘુસી ગયો હતો. બીજા કેટલાક અજાણ્યા લોકો બહાર બહેન-ભાઈ સાથે ઝઘડતા હતા. મંજુબેને પોલીસને ફોન કરતાં બધા નાસી ગયા હતા. દરવાજે બેભાન હાલતમાં પડેલો યુવકનું ઢીમ ઢળી ગયુંઘરમાં પરત આવતાં અનુપભાઈ પાછળના દરવાજે બેભાન હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. અનુપભાઈનો દીકરો આકાશ આવ્યો અને 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. પોલીસ અને એમ્બ્યુલન્સ આવ્યા બાદ અનુપભાઈને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક અનુપભાઈની પત્ની સુનિતાબેન પણ હોસ્પિટલ પહોંચી ગઈ હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આરોપી રાહુલ યાદવ, સુભાષ યાદવ, મનુ યાદવ સહિત અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. 'હું વચ્ચે પડી ત્યારે મને પણ બે-ત્રણ લાફા મારી ને ગાડી સાથે અથડાવી'મકરપુરામાં થયેલ હત્યા મામલે પ્રત્યક્ષદર્શી મંજુબેન પટેલે જણાવ્યું હતું કે, અમે જ્યારે ઘરની બહાર નીકળ્યા ત્યારે 4-5 લોકો એક વ્યક્તિને મારી રહ્યા હતા. અમે જેવી તેમને છોડાવવા માટે વચ્ચે પડ્યા ત્યારે પણ એ લોકો તેને મારી રહ્યા હતા અને તેને માથાના ભાગે ઈજાઓ થઈ હતી. જોતજોતામાં ત્યાં 20થી 25 લોકોનું ટોળું આવી ગયું. એ બધા જ ભેગા મળીને પેલા એક વ્યક્તિને મારવા લાગ્યા હતા. જ્યારે હું વચ્ચે પડી ત્યારે મને પણ બે-ત્રણ લાફા મારી દીધા અને ગાડી સાથે અથડાવી હતી. એ લોકોએ યુવક અનુપનું માથું લોખંડની જાળીમાં ભટકાડ્યું અને તે નીચે પડી ગયો હોવા છતાં તેને લાત-મુક્કાઓથી મારતા રહ્યા હતા. 'આ લોકો 'બાહુબલી' છે, એમની સામે કોઈ બોલી શકતું નથી'સ્થાનિક રામખેર પટેલે જણાવ્યું હતું કે, આ શિવશક્તિ નગર છે. અહીં બહુ મોટી બબાલ થઈ છે. આ લોકો તેમની ગાડીઓ રસ્તાની વચ્ચે ડબલ રોડ પર પાર્ક કરે છે. આ લોકો 'બાહુબલી' છે, એમની સામે કોઈ બોલી શકતું નથી. આ લોકો અહીં મારવા આવ્યા હતા. જ્યારે અમે વચ્ચે બચાવવા પડ્યા, ત્યારે અમને પણ ધક્કા માર્યા હતા. મને શ્વાસ લેવાની તકલીફ છે, જો મને કંઈ થઈ ગયું હોત તો આ લોકોની જવાબદારી હોત. એ લોકોએ મને માર્યો નથી, પણ જોરદાર ધક્કા-મુક્કી કરી હતી. મારવા આવ્યા એ મનુભાઈના છોકરાઓ છે, યાદવ લોકો છે. એ લોકો પોતાને બાહુબલી સમજે છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 1:07 pm

પોરબંદર પોલીસે મારામારીના આરોપી ‘ટાર્ઝન’ સાથે રિ-કન્સ્ટ્રક્શન કર્યું:ઘટનાસ્થળે લઈ જઈ પુરાવા એકત્રિત કરાયા

પોરબંદરના કીર્તિ મંદિર પોલીસે મારામારીના ગુનામાં સંડોવાયેલા આરોપી સમીર ઉર્ફે ટાર્ઝનને ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું. આ કાર્યવાહી તપાસના ભાગરૂપે પુરાવા એકત્રિત કરવાના હેતુથી કરવામાં આવી હતી. થોડા દિવસો પહેલા કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારીની ગંભીર ઘટના બની હતી. જેમાં આરોપી સમીર ઉર્ફે ટાર્ઝન વિરુદ્ધ અન્ય વ્યક્તિ પર હુમલો કરવાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ આ પગલું ભર્યું છે. ગુનાના મૂળ સુધી પહોંચવા અને પુરાવા એકત્રિત કરવા માટે આરોપીને ઘટનાસ્થળે લઈ જવામાં આવ્યો હતો. રિ-કન્સ્ટ્રક્શન દરમિયાન કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. પોલીસે આરોપી પાસેથી હુમલો ક્યાં થયો, કયા હથિયારનો ઉપયોગ થયો અને ઘટના સમયે અન્ય કોણ હાજર હતું તે સહિતની વિગતોનું પુનરાવર્તન કરાવ્યું હતું. આરોપીને જાહેરમાં ઘટનાસ્થળે લઈ જવામાં આવતા સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. તપાસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ રિ-કન્સ્ટ્રક્શન કોર્ટમાં કેસ ચલાવતી વખતે મજબૂત પુરાવા તરીકે મદદરૂપ થશે. હાલમાં પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે. આરોપીના અન્ય સાગરીતોની સંડોવણી અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 12:48 pm

વેરાવળમાં પ્રતિબંધિત ઇ-સીગારેટનો વેપલો:SOGએ રૂ. 29,500ના મુદ્દામાલ સાથે એક શખ્સને પકડ્યો

ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ યુવાનોને નશાના દૂષણથી દૂર રાખવાના હેતુસર જિલ્લા પોલીસે પ્રતિબંધિત વિદેશી ઇ-સીગારેટ અને હુકા સંબંધિત સામગ્રીના ગેરકાયદે વેપાર સામે સઘન કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા અને જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે, એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. કાગડા અને પો.સબ ઇન્સ્પેક્ટર આર.એચ. સુવાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાની ટીમ વેરાવળ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. દેવદાનભાઈ માણંદભાઈ, પો.હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ જયવંતસિંહ અને પો.કોન્સ્ટેબલ નદીમભાઈ શેરમહમદભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે વેરાવળ વિસ્તારમાં પ્રતિબંધિત ઇ-સીગારેટનો ગેરકાયદે સંગ્રહ અને વેચાણ થઈ રહ્યું છે. મળેલી બાતમીના આધારે, પોલીસ ટીમે વેરાવળ બહારકોટ ચાર ચોક નજીક આવેલા દર્શન એપાર્ટમેન્ટના રૂમ નં. 02 પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, લક્કી કોલોની, સોમનાથ ટોકિઝ પાસે, વેરાવળના રહેવાસી સૈફ આરિફભાઈ પોપટપોત્રા (ઉંમર 29 વર્ષ)ના કબજામાંથી અલગ-અલગ કંપની અને વિવિધ ફ્લેવરની પ્રતિબંધિત વિદેશી ઇ-સીગારેટ તેમજ નશાકારક પદાર્થના સેવન માટે ઉપયોગમાં લેવાતી હુકા એસેસરીઝનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ELFBAR 600 Disposable Pod કંપનીની 75 નંગ ઇ-સીગારેટ (કિંમત રૂ. 15,000), ROMIYO કંપનીની ચાઇના બનાવટની 5 નંગ ઇ-સીગારેટ (કિંમત રૂ. 1,000), હુકા માટે ઉપયોગમાં લેવાતા 170 પેકેટ ફોઇલ પેપર (કિંમત રૂ. 8,500) અને 1 નંગ મોબાઇલ ફોન (કિંમત રૂ. 5,000) મળી કુલ રૂ. 29,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે આરોપી વિરુદ્ધ The Prohibition of Electronic Cigarettes Act – 2019 અંતર્ગત વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે, જેમાં આ પ્રતિબંધિત સામગ્રી ક્યાંથી લાવવામાં આવી હતી અને કોને વેચાણ કરવામાં આવતું હતું તે અંગે તપાસ ચાલુ છે. ગીર સોમનાથ જિલ્લા પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે પ્રતિબંધિત ઇ-સીગારેટ, હુકા અથવા નશાકારક સામગ્રીના ગેરકાયદે વેપાર અંગે કોઈપણ પ્રકારની માહિતી મળે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા એસ.ઓ.જી. શાખાને જાણ કરે, જેથી યુવા પેઢીને નશાની લતથી બચાવી શકાય અને જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 12:47 pm

ધારાસભ્ય દિવ્યેશ અકબરીના જન્મદિવસે પંચવિધ સેવાયજ્ઞ:મહારક્તદાન, મેમોગ્રાફી, સુપોષણ, 'કેચ ધ રેઇન' અને પ્લાસ્ટિક મુક્ત અભિયાન

જામનગરના 79-દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ તેમના ધારાસભ્ય બન્યા પછીના ચોથા જન્મદિવસની ઉજવણી પાંચ વિવિધ સેવા પ્રકલ્પો સાથે કરી હતી. મકરસંક્રાંતિના પર્વ, 14 જાન્યુઆરીના રોજ રણજીત નગર સ્થિત કેશવજી અરજણ લેઉઆ પટેલ સેવા સમાજ ખાતે આ કાર્યક્રમો યોજાયા હતા. આ પંચવિધ સેવાયજ્ઞમાં મહારક્તદાન કેમ્પ, 79-વિધાનસભા વિસ્તારના બાકી રહેલા કુપોષિત બાળકોને સુપોષિત બનાવવાનું અભિયાન, મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર જાગૃતિ માટે મેમોગ્રાફી અભિયાન, 'કેચ ધ રેઇન' કાર્યક્રમનો અમલ અને 'પ્લાસ્ટિક મુક્ત જામનગર' અભિયાનનો સમાવેશ થાય છે. આ પ્રસંગે મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ જોડાયા હતા. અગાઉના જન્મદિવસ પર યોજાયેલા કેમ્પમાં 525 બોટલ રક્ત એકત્ર કરાયું હતું, જે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ગરીબ દર્દીઓ અને થેલેસેમિયાના બાળકો માટે બ્લડ બેંકમાં જમા કરાવાયું હતું. કુપોષણથી સુપોષણ સુધીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અભિયાન અંતર્ગત, ધારાસભ્યએ પ્રથમ જન્મદિવસે 251 કુપોષિત બાળકોને દત્તક લીધા હતા. અત્યાર સુધીમાં 700થી વધુ બાળકો સુપોષિત બન્યા છે. હાલમાં બાકી રહેલા 61 કુપોષિત બાળકોને દત્તક લેવાયા છે, જેથી 79-દક્ષિણ વિધાનસભા વિસ્તારના તમામ બાળકો સુપોષિત બન્યા છે. સ્તન કેન્સરની જાગૃતિ માટે જામનગર શહેરની 1863 બહેનોને જાગૃત કરીને તેમની મેમોગ્રાફી સ્ક્રિનિંગ કાર્યવાહી કરાઈ હતી. તેમાંથી 15 બહેનોના રિપોર્ટ પોઝિટિવ આવતા, તેમની આગળની સારવાર માટે ધારાસભ્ય દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અભિયાનને વધુ વેગવંતુ બનાવવામાં આવશે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના મહત્ત્વપૂર્ણ 'કેચ ધ રેઇન' કાર્યક્રમ અંતર્ગત જામનગરના 3000 જેટલા એકમોમાં તેનો અમલ કરાવવાનો નિર્ધાર કરાયો છે. આ ઉપરાંત, જામનગર શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 12:43 pm

ભરૂચમાં ઉતરાયણની ઉજવણી, આકાશ પતંગોથી છવાયું:જિલ્લાવાસીઓએ દાન-પુણ્ય સાથે પર્વની ઉજવણી કરી

ભરૂચ જિલ્લામાં મકર સંક્રાંતિના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. અનુકૂળ પવનને કારણે જિલ્લાવાસીઓએ વહેલી સવારથી જ ધાબા પર ચઢી પતંગો ચગાવી હતી. શહેરથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું, અને પતંગ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ 14 જાન્યુઆરીના રોજ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરતા મકર સંક્રાંતિ અથવા ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. યુવાનો અને બાળકો વહેલી સવારથી જ ધાબા પર પતંગ ચગાવતા જોવા મળ્યા હતા. ભરૂચ જિલ્લામાં સવારથી જ ઉતરાયણનો માહોલ જામ્યો હતો અને બપોર બાદ પણ પતંગ રસિયાઓનો ઉત્સાહ યથાવત રહ્યો હતો. મકર સંક્રાંતિના પવિત્ર દિવસે ગૌમાતાનું પૂજન કરવાની પરંપરા મુજબ, ભરૂચ પાંજરાપોળ ખાતે શ્રદ્ધાળુઓએ ગાય માતાની પૂજા કરી તેમને ઘાસચારો અને ઘૂઘરી અર્પણ કરી હતી.ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ પણ તેમના માતૃશ્રી સાથે પાંજરાપોળની મુલાકાત લીધી હતી.તેમણે ગાય માતાનું પૂજન કરી ઘાસ ખવડાવ્યું હતું. ત્યારબાદ, તેમણે સ્લમ વિસ્તારના બાળકોને પતંગ, ફિરકી અને ચીકીનું વિતરણ કરીને ઉતરાયણ પર્વની ઉજવણી કરી હતી. ઉતરાયણ પર્વ નિમિત્તે શહેર સહિત સમગ્ર જિલ્લામાં ઊંધિયું અને જલેબીની જયાફતનો વિશેષ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. બે દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં ઊંધિયા-જલેબીના સ્ટોલ લાગ્યા હતા, જ્યાં લોકોએ પરંપરાગત સ્વાદનો આનંદ માણ્યો હતો. ધાબા પર ચઢેલા પતંગ રસિયાઓ વચ્ચે આકાશી યુદ્ધ પણ જોવા મળ્યું હતું. એકબીજાની પતંગ કાપતા ‘એ કાપ્યો છે… એ લપેટ… એ હેંડી…’ જેવી ચીચીયારીઓ અને પીપૂડાના અવાજોથી સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું હતું.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 12:41 pm

અમરેલીમાં મંત્રી કૌશિક વેકરીયાએ પતંગ ઉત્સવ ઉજવ્યો:સાંસદ ભરત સુતરીયા પણ કાર્યકરો સાથે જોડાયા

સમગ્ર ગુજરાત રાજ્યમાં ઉત્તરાયણ પર્વની પરંપરાગત ઉજવણી ચાલી રહી છે. આ પાવન પર્વ નિમિત્તે અમરેલીમાં રાજ્ય કક્ષાના ઊર્જા અને કાયદા વિભાગના મંત્રી કૌશિક વેકરીયા અને લોકસભાના સાંસદ ભરત સુતરીયાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નાગરિકો સાથે પતંગ ઉત્સવની ઉજવણી કરી હતી. સામાન્ય રીતે રાજકીય આગેવાનો પરિવારજનો સાથે ઉત્તરાયણ ઉજવતા હોય છે, ત્યારે મંત્રી કૌશિક વેકરીયાએ સામાન્ય કાર્યકરની જેમ ધાબા પર ચઢી પતંગ ઉડાવી હતી. તેમની આ સાદગીભરી અને લોકસંપર્કસભર ઉજવણીથી કાર્યકરોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. પતંગ ઉત્સવ દરમિયાન કાઈ પો છેના નારાથી વાતાવરણ આનંદમય બની ગયું હતું. આ પ્રસંગે લોકસભાના સાંસદ ભરત સુતરીયાએ જણાવ્યું હતું કે, આજે માત્ર પતંગ નહીં, પરંતુ વિકાસની પતંગ આકાશમાં ઉડી રહી છે. ગુજરાત અને દેશ વિકાસના નવા આયામો સર કરી રહ્યા છે. તેમણે તમામ નાગરિકોને પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે સુરક્ષિત પતંગ ઉડાવવાની અપીલ પણ કરી હતી. રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરીયાએ વધુમાં કહ્યું કે, ઉત્તરાયણ પર્વ લોકો પરિવાર અને ભાઈબંધો સાથે ઉજવે છે. રાજ્ય અને દેશમાં વિકાસના કાર્યો થઈ રહ્યા છે. તેમણે સોમનાથના ઇતિહાસનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, વડાપ્રધાને વિશ્વને સંદેશ આપ્યો છે. આજના દિવસે વિકાસના કાર્યો થતા રહે તે માટે સોમનાથ દાદાને પ્રાર્થના છે. આ કાર્યક્રમમાં નગરપાલિકાના હોદ્દેદારો, ભાજપના વિવિધ મોરચાના પદાધિકારીઓ, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પતંગ ઉત્સવ માત્ર તહેવારની ઉજવણી પૂરતો સીમિત ન રહેતા, કાર્યકરો અને નેતાઓ વચ્ચેના આત્મીય સંબંધો તેમજ સંગઠનની એકતા દર્શાવતો યાદગાર પ્રસંગ બની રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 12:30 pm

જૂનાગઢમાં પક્ષી બચાવો અભિયાન.:પક્ષીઓ માટે 'ઉતરાયણ' ન બને કાળ તે માટે જૂનાગઢમાં 29 કેન્દ્રો પર 'કરુણા અભિયાન' શરૂ, 20 ડોક્ટરો અને 300 કર્મીઓ ઘાયલ પક્ષીઓની વહારે.

​મકરસંક્રાંતિનો તહેવાર માનવીઓ માટે ભલે હર્ષોલ્લાસનો પર્વ હોય, પરંતુ આકાશમાં વિહાર કરતા અબોલ પક્ષીઓ માટે તે જીવલેણ સાબિત થતો હોય છે. પતંગની કાચ પાયેલી દોરીથી ઘાયલ થતા પક્ષીઓને નવજીવન આપવા માટે જૂનાગઢ વન વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 'કરુણા અભિયાન'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લામાં કુલ 29 જેટલા સારવાર કેન્દ્રો કાર્યરત કરી પશુ-પક્ષીઓની સારવાર માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ છે. ​ભવનાથ ખાતે મુખ્ય કેન્દ્રની પદાધિકારીઓએ લીધી મુલાકાત આજે મકરસંક્રાંતિના પવિત્ર દિવસે જૂનાગઢના ભવનાથ ખાતે આવેલા વન વિભાગના રેસ્ટ હાઉસમાં કાર્યરત મુખ્ય સારવાર કેન્દ્રની મહાનુભાવોએ મુલાકાત લીધી હતી. મેયર ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા અને શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયાએ કેન્દ્રની મુલાકાત લઈ વન વિભાગની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે વન વિભાગના DCF પ્રશાંત તોમર અને અક્ષય જોશીએ પદાધિકારીઓને ચાલી રહેલા રેસ્ક્યુ ઓપરેશન અને સારવારની પદ્ધતિઓથી માહિતગાર કર્યા હતા. ​300 થી વધુ માનવબળ અને 20 નિષ્ણાંત ડોક્ટરોની ટીમ DCF પ્રશાંત તોમરે વિગતો આપતા જણાવ્યું કે, 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી ચાલનારા આ અભિયાનમાં સમગ્ર જિલ્લામાં 29 રેસ્ક્યુ અને કલેક્શન સેન્ટર બનાવવામાં આવ્યા છે. જેમાં 20 જેટલા અનુભવી વેટરનરી ડોક્ટરો અને વન વિભાગનો 300થી વધુ કર્મચારીઓનો સ્ટાફ ખડેપગે છે. આ ઉપરાંત શહેરની 12 જેટલી નામી સ્વૈચ્છિક સંસ્થાઓ (NGOs) પણ આ સેવાયજ્ઞમાં જોડાઈ છે. ઘાયલ પક્ષીઓને તાત્કાલિક અને સચોટ સારવાર મળે તે માટે તમામ કેન્દ્રો પર અત્યાધુનિક વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. પક્ષીઓના શરીરનું તાપમાન જાળવી રાખવા માટે 'હીટર' અને શ્વાસ લેવામાં તકલીફ પડતા પક્ષીઓ માટે 'ઓક્સિજન'ની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત પક્ષીઓ અને શિડ્યુલ બર્ડ્સ માટે જૂનાગઢ વેટરનરી કોલેજ સાથે સીધું સંકલન સાધવામાં આવ્યું છે, જેથી તેમને નિષ્ણાંતોની દેખરેખ હેઠળ ઓપરેશન કે અન્ય જટિલ સારવાર મળી રહે. પતંગની દોરીથી પાંખો કપાઈ જવી કે ગંભીર ઈજા થવી તેવા કિસ્સામાં પક્ષીઓને કેન્દ્ર પર લાવી 10 દિવસ સુધી રાખવામાં આવશે. જ્યાં સુધી પક્ષી સંપૂર્ણપણે સ્વસ્થ ન થાય અને ફરી ઉડવા માટે સક્ષમ ન બને ત્યાં સુધી તેને નિષ્ણાંતોની નિગરાનીમાં રાખી ખોરાક અને દવાઓ આપવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 12:07 pm

દસાડાના રાજપર ખાતે નવી GIDC મંજૂર:સુરેન્દ્રનગરના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે, ધારાસભ્યે લોકો વતી સરકારનો આભાર માન્યો

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના રાજપર ગામ ખાતે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવી GIDC (સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ) સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી જિલ્લાના ઔદ્યોગિક વિકાસમાં એક નવું સીમાચિહ્ન ઉમેરાયું છે. રાજપર ખાતે આકાર પામનારી આ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ઉદ્યોગો માટે તેમજ સ્થાનિક રોજગારી માટે આશીર્વાદરૂપ સાબિત થશે. 'આત્મનિર્ભર ભારત'ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આ એક મોટું પગલું છે. નવા ઉદ્યોગો આવવાથી દસાડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના યુવાનોને ઘરઆંગણે રોજગારીની તકો મળશે અને આર્થિક ગતિવિધિઓ તેજ બનશે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ મંજૂર કરવા બદલ સુરેન્દ્રનગરની જનતા વતી રાજ્ય અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ નિર્ણય બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો વિશેષ ઋણ સ્વીકારવામાં આવ્યો છે. આ નિર્ણય સુરેન્દ્રનગર જિલ્લાને 'સ્માર્ટ અને આત્મનિર્ભર' બનાવવાની દિશામાં વેગ આપશે. રાજપર હવે ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાતનું નવું ગ્રોથ એન્જિન બનવા જઈ રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 11:49 am

પોરબંદર ભોજેશ્વર પ્લોટ પાસે હથિયારોથી હુમલો:જૂના ઝગડાના મનદુઃખમાં સામસામે ફરિયાદ નોંધાઈ

પોરબંદરના ભોજેશ્વર પ્લોટ વિસ્તારમાં મામાદેવ મંદિર પાસે જૂના ઝઘડાના મનદુઃખને કારણે હથિયારો વડે સામસામે હુમલો થયો હતો. આ ઘટનામાં પોલીસે આલય, અર્જુન કડછા ઉર્ફ જાડેજા, ગબરુ અને અજય ગોઢાણીયા સહિતના આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પ્રથમ ફરિયાદ મુજબ, અગાઉના ઝઘડાના કારણે આરોપીએ આઇમા પાનની દુકાને જઈ એક યુવકની ગેરહાજરીમાં ગાળો આપી હતી. આ અંગે ફરિયાદીએ ફોન પર પૂછપરછ કરતા આરોપીએ તેને વાડી પ્લોટ બોલાવ્યો હતો, જ્યાં સમાધાન થયું હોવાનું જણાવાયું હતું. ત્યારબાદ ફરિયાદીનો મિત્ર આરોપીને તેના ઘરે મૂકવા જઈ રહ્યો હતો, ત્યારે આરોપીએ ફરિયાદીને ખીજડી પ્લોટ મામાદેવ મંદિર પાસે બોલાવ્યો. ત્યાં આરોપીએ ફરિયાદીને ઝાપટ મારી, જમીન પર પડેલા પથ્થરથી ડાબા ખભા પાસે ઘા કર્યો અને છરી વડે માથાના ભાગે ઇજા પહોંચાડી હતી. બીજી ફરિયાદ અનુસાર, અર્જુન કડછા ઉર્ફ જાડેજા, ગબરુ અને અજય ગોઢાણીયાએ પણ જૂના ઝઘડાના મનદુઃખને કારણે ફરિયાદીને મામાદેવ મંદિર પાસે બોલાવી ગાળો આપી હતી. ફરિયાદી સમાધાન માટે વાડી પ્લોટ શાક માર્કેટ પાસે ગયો ત્યારે આરોપીઓ સાથે બોલાચાલી થઈ હતી. બાદમાં ફરીથી મામાદેવ મંદિર પાસે પહોંચતા આરોપીએ ફરિયાદીને ઝાપટ મારી અને પોતાની પાસે રહેલી બંધ છરીના હાથા વડે ડાબા કાનની પાછળ ઇજા કરી હતી. અન્ય આરોપીએ હાથમાં પહેરેલા પંચ વડે જમણા ખભા તથા ડાબી બાજુ પડખાના ભાગે માર મારી મુંઢ ઇજાઓ પહોંચાડી હતી. પોલીસે આ સમગ્ર ઘટનાને લઈ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 11:42 am

તિલકનગર પમ્પિંગ પાસેથી દારૂ ભરેલી રીક્ષા ઝડપાઈ:ચોરખાનામાંથી 680 વિદેશી દારૂની બોટલો સાથે 3.29 લાખનો મુદ્દામાલ જપ્ત

ભાવનગરમાં એલસીબી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરેલી ઓટો રીક્ષા ઝડપી પાડી છે. શહેરના તિલકનગર પમ્પિંગ પાસે રેઇડ દરમિયાન રિક્ષાના ચોરખાના માંથી દારૂ મળ્યો હતો, જોકે રીક્ષા ચાલક ફરાર થયો છે. પોલીસે મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબીશન હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. દારૂનો જથ્થો રીક્ષા ચોરખાનામાંથી છૂપાવ્યો હતોઆ બનાવ અંગે એલસીબી કચેરીથી મળતી માહતી મુજબ 13 જાન્યુઆરીના રોજ ભાવનગર એલ.સી.બી.પોલીસ સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમી આધારે ઓટો રીક્ષા રજી નં.GJ-04-AU-7799માં ચોર ખાનામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. જે ઓટો રીક્ષા તિલકનગર પમ્પીંગ પાસે પડેલ છે. 680 વિદેશી દારૂની બોટલો સાથે 3.29 લાખનો મુદ્દામાલ જપ્તજે બાતમીવાળા સ્થળ પર રેઇડ કરી તપાસ કરતા રીક્ષાના ચોરખાના માંથી લંડન પ્રાઇડ પ્રીમીયમ વ્હીસ્કી 180 ML પ્લાસ્ટીકની બોટલ 680 નંગ કિ.રૂ.1,79,520 મળી આવી હતી જોકે રેઇડ દરમિયાન રીક્ષા ચાલક ફરાર થયો હતો. ત્યારે LCB ટીમે 680 વિદેશી દારૂની બોટલો અને રીક્ષા મળી કુલ રૂપિયા 3,29,520 નો મુદ્દામાલ ઝડપી પાડી રીક્ષા ચાલક વિરૂધ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 11:40 am

ગાંધીનગરમાં રંગબેરંગી પતંગો, સંગીત અને ઉત્સવી માહોલ:CMએ 10 મિનિટ પતંગ ચગાવ્યો, ધારાસભ્ય દ્વારા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં ભવ્ય આયોજન

ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ પ્રેરિત સહાય ફાઉન્ડેશન દ્વારા ઉત્તરાયણના પર્વ નિમિત્તે ભવ્ય પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 14 જાન્યુઆરી, 2026ના રોજ ઉદ્યોગ ભવનની સામે આવેલ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન, ઘ-4 ખાતે આયોજિત આ પતંગોત્સવમાં શહેરના નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં પતંગ ચગાવ્યો હતો. મુખ્યમંત્રી 10 મિનિટ માટે પતંગ ચગાવી રવાના થયા છે. રંગબેરંગી પતંગો, સંગીત અને ઉત્સવી માહોલઉત્તરાયણના પરંપરાગત ઉત્સાહ અને સાંસ્કૃતિક માહોલને ઉજાગર કરવાના ઉદ્દેશ્યથી આયોજિત આ પતંગોત્સવમાં રંગબેરંગી પતંગો, સંગીત અને ઉત્સવી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બાળકો અને યુવાનો માટે આ કાર્યક્રમ આનંદ અને મનોરંજનનું કેન્દ્ર બન્યો છે. આ પતંગોત્સવમાં પરિવાર સાથે જોડાઈને ઉજવણી કરવા સહાય ફાઉન્ડેશન દ્વારા નાગરિકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 11:36 am

અમદાવાદમાં શુધ્ધ ઘીની જલેબી, સુરતી ઊંધિયાની ડિમાન્ડ વધુ:ગ્રાહકોએ કહ્યું ફાફડા, જલેબી અને ઊંધિયા વગર ઉત્તરાયણ અધુરી; પતંગ ચગાવાની સાથે ખાણીપીણીની મોજ

અમદાવાદીઓમાં ઉતરાયણના દિવસે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પતંગ ચગાવતા પહેલા અમદાવાદીઓએ ફાફડા જલેબી અને ઊંધિયાની ખરીદી માટે લાઇનો લગાવી છે. વહેલી સવારથી જ અમદાવાદીઓ ફાફડા, જલેબી અને ઊંધિયાની ખરીદી કરવા માટે પહોંચી ગયા છે. અમદાવાદીઓ ફાફડા, જલેબી અને ઊંધિયાના એટલા શોખીન છે કે પતંગ દોરી હાથમાં આવે તે પહેલાં જ તેમના હાથમાં ફાફડા, જલેબી અને ઊંધિયુ આવી ગયું છે. ફાફડા, જલેબી અને ઊંધિયાની ખરીદી માટે અમદાવાદીઓની લાઇનઅમદાવાદ શહેરની તમામ દુકાનો પર અમદાવાદીઓની લાઇન જોવા મળી રહી છે. તમામના ભાવ વધ્યા હોવા છતાં લોકોની ડિમાન્ડમાં ઘટાડો ન થયો હોવાની દુકાનદારો માની રહ્યા છે. તેમજ ગ્રાહકો પણ કહી રહ્યા છે કે ફાફડા, જલેબી અને ઊંધિયા વગર ઉત્તરાયણ અધૂરું ગણાય છે. સુરતી ઊંધિયું અમદાવાદીઓની પ્રથમ પસંદગીઉત્તરાયણના તહેવારને લઈ અમદાવાદ આખું તહેવારી રંગે રંગાયું છે. પતંગ ચગાવાની તૈયારી સાથે સાથે અમદાવાદીઓએ ફાફડા-જલેબી અને ઊંધિયાની ખરીદી શરૂ કરી દીધી છે. શહેરની પ્રખ્યાત મીઠાઈ અને ફરાળની દુકાનો પર વહેલી સવારથી જ લોકોની ભીડ ઉમટી પડી છે. આ વર્ષે ખાસ કરીને શુદ્ધ ઘીમાં બનેલી જલેબી, ફાફડા અને કચોરી અને ઊંધિયાની ભારે માંગ જોવા મળી છે. સુરતી ઊંધિયું અમદાવાદીઓની પ્રથમ પસંદગી બની ગયું છે. તહેવારને કારણે ભાવમાં વધારો જોવા મળ્યોભાવની વાત કરીએ તો તહેવારને કારણે ભાવમાં વધારો જોવા મળ્યો છે, છતાં લોકોના ઉત્સાહમાં કોઈ ઘટાડો નથી. શહેરમાં ફાફડાના ભાવ 750 રૂપિયે પ્રતિ કિલો, શુદ્ધ ઘીમાં બનેલી જલેબીના 900 અને ઊંધિયુંના 550 રૂપિયા સુધી ભાવ પહોંચી ગયા છે. ‘ચટાકેદાર ઊંધિયું, શુદ્ધ ઘીની જલેબી અને કચોરીની અત્યારે ખૂબ ડિમાન્ડ’વેપારી અલ્પેશભાઈ ટાંકે જણાવ્યું હતું કે, ઉત્તરાયણના કારણે ચટાકેદાર ઊંધિયું, શુદ્ધ ઘીની જલેબી અને કચોરીની અત્યારે ખૂબ ડિમાન્ડ જોવા મળી રહી છે. દર વખત જેટલી જાવ વખતે ડિમાન્ડ જોવા મળી રહી છે અને વહેલી સવારથી જ લોકો લાઈન લગાવીને ખરીદી માટે પહોંચી ગયા છે. સીંગતેલમાં બનાવેલા ફાફડા 750 રૂપિયા કિલો, જલેબી 800થી 900 રૂપિયા અને ઊંધિયું 550 રૂપિયા છે. ઉતરાયણનો તહેવાર તમામ લોકો માનવતા હોવાથી ફાફડા, જલેબી અને ઊંધિયા માટે પણ લોકોની ડિમાન્ડ રહેતી હોય છે. 'ફાફડા જલેબી અને ઊંધિયુ હોય તો તહેવારમાં વધારે મજા પડે'ગ્રાહક મોનાબેને જણાવ્યું હતું કે, ઉતરાયણનો તહેવાર હોવાથી આજે અમે ગાંઠિયા ખાવા માટે આવ્યા હતા. અમારા તમામ લોકોના ગાંઠિયા અને જલેબી ખૂબ પસંદ છે. ઊંધિયું અને કચોરી પણ ઘરે લઈ જઈ રહ્યા છીએ. ઉત્તરાયણ ફાફડા, જલેબી અને ઊંધિયા વગર અધુરી રહી જાય છે. જો ફાફડા જલેબી અને ઊંધિયુ હોય તો તહેવારમાં વધારે મજા આવતી હોય છે

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 11:21 am

2000થી વધુ પક્ષીઓનાં જીવ બચાવાશે:રાજકોટમાં ઉત્તરાયણમાં ઘાયલ થનાર પક્ષીઓની સારવાર માટે 7 કેન્દ્રો ઉભા કરાયા, 30 જેટલા ડૉક્ટર્સ સહિત 80થી વધુનો સ્ટાફ ખડેપગે

દેશભરમાં આજે મકરસંક્રાંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વમાં આકાશમાં ઉડતા પક્ષીઓ ઘાયલ થતા હોય છે. ત્યારે રાજકોટના અલગ અલગ 7 કેન્દ્રો અને એક હોસ્પિટલમાં અબોલ જીવોની સારવાર માટેના ખાસ મેડિકલકેમ્પ કરુણા અભિયાન હેઠળ કાર્યરત થયા છે. જેમાં કબૂતર, હોલા, ઘુવડ, સમડી સહિતના પક્ષીઓ ઘાયલ થઈને આવે છે. જેમાં 30 વેટરનિટી તબીબોની સાથે કુલ 80 કરતા વધુનો સ્ટાફ સતત ખડેપગે રહીને ઘાયલ પક્ષીઓની સારવાર કરી રહ્યા છે. આજે તેમજ કાલે એમ બે દિવસમાં જ 2000 કરતા વધુ પક્ષીઓનો આ અભિયાન દ્વારા જીવ બચાવવામાં આવશે. રાજકોટના ત્રિકોણ બાગ ખાતે મુખ્ય કન્ટ્રોલ રૂમમાં ફરજ બજાવતા આજથી શરૂ થયેલા કરુણા અભિયાનના મેડિકલ કેમ્પના ડૉ. દીપ સોજીત્રાએ જણાવ્યું હતું કે, 10 થી 20 જાન્યુઆરી દરમિયાન ગુજરાતભરમાં કરુણા અભિયાન કાર્યરત કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 7 સ્થળોએ આવેલા જુદા-જુદા કેન્દ્રોમાં 30 ડૉક્ટર્સ અને અન્ય પેરામેડિકલ સહિતનો સ્ટાફ મળીને 80-85 લોકો સેવા આપી રહ્યા છે. આજે અને આવતીકાલે એટલે કે, 14 અને 15 જાન્યુઆરીનાં રોજ મોટી સંખ્યામાં ઘાયલ પક્ષીઓ અમારા કેન્દ્રોમાં આવતા હોય છે. અમારા હેલ્પલાઇન નબરો 9898019059ની સાથે જ સરકારી હેલ્પલાઇન નંબર 1962 પર કોલ કરતા અમારી ટીમો સ્થળ પર પહોંચી જાય છે. મકરસંક્રાંતિ દરમિયાન પતંગ ની દોરીના કારણે કબૂતર, હોલો, બગલો, ઘુવડ અને સમડી જેવા પક્ષીઓ ઇજાગ્રસ્ત થતા હોય છે. આ પક્ષીઓને સ્થળ પર પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને અહીં લાવવામાં આવે છે. અને તેની સારવાર કરવામાં આવે છે. પક્ષીઓની પાંખ કે ગરદન તૂટી ગઈ હોય તો ત્યાં ટાંકા લઈ મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને ત્યારબાદ તે જ્યાં સુધી સાજુ ન થાય ત્યાં સુધી શેલ્ટરમાં રાખવામાં આવે છે. કોઈપણ પક્ષી સ્વસ્થ થયા બાદ તેને આકાશમાં વિહરવા માટે મુક્ત કરવામાં આવે છે. ગત વર્ષે મકરસંક્રાંતિનાં તહેવારોમાં 13, 14 અને 15 જાન્યુઆરીના મેડિકલ કેમ્પ કાર્યરત હતો. જે દરમિયાન પતંગની કાતિલ દોરીથી ઘાયલ થયેલા 2000 પક્ષીઓ આવ્યા હતા. જેમાંથી 1,400 પક્ષીઓની કેમ્પ સ્થળે ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગત વર્ષે 400 પક્ષીઓના મૃત્યુ થયા હતા. આ વર્ષે પણ અલગ-અલગ કેન્દ્રોમાં મળીને 2000 કરતા વધારે ઘાયલ પક્ષીઓ અહીં આવે તેવી શક્યતા હોવાથી તે મુજબનો સ્ટાફ અને દવા સહિતની તમામ વ્યવસ્થા ઉપલબ્ધ રાખવામાં આવી છે. અને તમામ ઘાયલ પક્ષીઓનો જીવ બચાવવા અમારી ટીમો સતત ખડેપગે છે. કરુણા ફાઉન્ડેશનનાં કેન્દ્રો અને હોસ્પિટલ 1.ત્રિકોણબાગ, રાજકોટ, કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ - એનીમલ હેલ્પલાઈન2.અર્હમ યુવા સેવા ગ્રુપ, મોદી સ્કુલ પાસે, રાજકોટ 3.અર્હમ યુવા સેવા ગ્રુપ, ઓમ નગર સર્કલ, મવડી,૧૫૦ ફૂટ રીંગ રોડ4.અર્હમ યુવા સેવા ગ્રુપ,ક્રિસ્ટલ મોલ સામે,કાલાવડ રોડ5.અર્હમ વેટરનરી કલીનીક, હનુમાન મઢી, કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ 6.બાલક હનુમાન, પેડક રોડ, રાજકોટ, શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ 7.કરુણા એનીમલ હોસ્પિટલ, ગોંડલ ચોકડી પાસે, તુલીપ પાર્ટી પ્લોટ, વાવડી8.શેણી સદભાવના એનીમલ હેલ્પલાઈન હોસ્પિટલ શેલ્ટર), શ્રેયાંસ સ્કૂલ પાસે, એફ.સી.આઈ. ગોડાઉન રોડ, શેઠનગર પછી તરત, પ્રિન્સેસ સ્કૂલનાં ગ્રાઉન્ડ પાછળ, જામનગર રોડ ઉલ્લેખનીય છે કે, કરુણા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 22 વર્ષથી દરવર્ષે મકરસંક્રાંતિનાં તહેવારો દરમિયાન ઠેર-ઠેર ઘવાયેલા પક્ષીઓની સારવાર માટેના કેન્દ્રો ઉભા કરવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં મળીને હજારોની સંખ્યામાં પતંગના દોરથી ઘાયલ થયેલા પક્ષીઓ આ કેન્દ્રોમાં આવે છે. અહીં મોટી સંખ્યામાં નિષ્ણાત તબીબો સહિતના સ્ટાફ દ્વારા આ પક્ષીઓની જરૂરી સારવાર કરવામાં આવે છે. અને જ્યાં સુધી પક્ષી સ્વસ્થ ન થાય ત્યાં સુધી તેને શેલ્ટર હોમમાં રાખ્યા બાદ આકાશમાં છોડી દેવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 11:20 am

નવસારીમાં પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓનું રેસ્ક્યૂ:ઓપરેશન થિયેટરમાં સારવાર, જાગૃતિથી મૃત્યુદરમાં ઘટાડો

મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે પતંગના દોરાથી ઘાયલ થતા પક્ષીઓને બચાવવા નવસારીમાં વિશેષ અભિયાન ચલાવાઈ રહ્યું છે. શહેરમાં પક્ષીઓ માટે રેસ્ક્યુ સેન્ટર અને ઓપરેશન થિયેટર ઊભા કરાયા છે, જ્યાં પશુચિકિત્સકો દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી રહી છે. લોકોમાં આવેલી જાગૃતિને કારણે પક્ષીઓના મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. નવસારીના શાંતાદેવી વિસ્તારમાં ભગવાન મહાવીર કરુણા મંડળ અને રેસ્ક્યુ એન્ડ રિહેબ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે પક્ષી બચાવ કેન્દ્ર અને ઓપરેશન થિયેટર કાર્યરત કરાયું છે. અહીં પશુચિકિત્સકો ઘાયલ પક્ષીઓની તાત્કાલિક સારવાર કરી રહ્યા છે. મકરસંક્રાંતિ સહિત ત્રણ દિવસ સુધી આ કામગીરી સતત ચાલુ રહેશે. વહેલી સવારે અને મોડી સાંજે પક્ષીઓ પોતાના માળામાં આવન-જાવન કરતા હોય છે, ત્યારે પતંગના ધારદાર દોરાથી તેઓ ઘાયલ થાય છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી લોકોમાં પક્ષીઓ પ્રત્યે જાગૃતિ આવી છે. ભગવાન મહાવીર કરુણા સંસ્થા સાથે છેલ્લા 15 વર્ષથી જોડાયેલા જૈનમ શાહના જણાવ્યા અનુસાર, લોકો હવે ઘાયલ પક્ષીઓની માહિતી એનજીઓને ફોન કરીને આપે છે, જેનાથી રેસ્ક્યુ કામગીરી સરળ બની છે. મકરસંક્રાંતિ પહેલાં સોશિયલ મીડિયા દ્વારા એનજીઓના સંપર્ક નંબર પ્રસારિત કરવામાં આવે છે. લોકો ઘાયલ પક્ષીઓના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે અથવા સીધા એનજીઓને જાણ કરે છે, જેથી સ્વયંસેવકો તાત્કાલિક સ્થળ પર પહોંચી પક્ષીઓને બચાવી શકે. આ જાગૃતિના સકારાત્મક પરિણામો જોવા મળ્યા છે. વર્ષો પહેલાં મકરસંક્રાંતિ દરમિયાન 100 થી વધુ પક્ષીઓના મોત થતા હતા, તેની સામે હવે 100 જેટલા પક્ષીઓનું રેસ્ક્યુ થાય છે અને મૃત્યુઆંક બેથી વધુ નથી. આ વર્ષે એનજીઓના સભ્યોને આશા છે કે એક પણ પક્ષીનું મોત નહીં થાય અને સારવાર માટે આવતા પક્ષીઓની સંખ્યા પણ ઘણી ઓછી છે. આ દર્શાવે છે કે જાગૃતિ અભિયાન સફળ રહ્યું છે. જૈનમ શાહ જણાવે છે કે, અમારી સંસ્થા છેલ્લા 15 વર્ષથી પક્ષીઓ માટે કેમ્પનું આયોજન કરતી આવી છે,હાલમાં જોવા મળતા ટ્રેન્ડ મુજબ છેલ્લા 15 વર્ષની કેસની સંખ્યા જોઈએ તો પહેલા લોકો ફોન કરતા નહોતા કે ઘાયલ પક્ષી મળે તો શું કરવું પરંતુ હવે લોકો ફોન કરતા થયા છે,પક્ષીઓને બચાવવાનો રેસીયોમાં વધારો થયો છે, પહેલા સો જેટલા પક્ષીઓ મરી જતા પરંતુ હવે 100 જેટલા કેસ આવે છે અને બે થી વધુ પક્ષીઓના મોત થાય છે. એક સારી બાબત કહી શકાય આજે સવારથી 50થી વધારે પક્ષીઓ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે મોટાભાગના ની સર્જરી કરવામાં આવી છે અને એમના શરીરમાં જે દોરાના કારણે કટ લાગી ગયો હતો તે ખાસ્સો ઊંડો હોય છે,તેથી તે દૂર કરવામાં આવે છે,દર વર્ષે 10 કિલોથી વધુ ના દોરા અમે ખરીદીને તેનો નાશ કરીએ છીએ આજે અને આવનારા ત્રણ દિવસ સુધી અમારા એનજીઓને 30થી વધુ સભ્યો ફિલ્ડમાં કાર્ય કરી રહ્યા છે અને છ થી વધારે વેટનરી ડોક્ટરો પણ આ સેવામાં કાર્ય કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 11:17 am

હિંમતનગરમાં ઊંધિયાની ભારે માંગ:ફરસાણની દુકાનો પર ઊંધિયું-જલેબી લેવા લોકોની ભીડ જામી

ઉત્તરાયણ પર્વને એક દિવસ બાકી હોવાથી હિંમતનગરમાં ઊંધિયું, જલેબી અને ફાફડા સહિતના ફરસાણ ખરીદવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ફરસાણની દુકાનો અને સ્ટોલ પર બુધવારે સવારથી જ લાંબી કતારો લાગી હતી. હિંમતનગરના મહાવીરનગર સહિત અન્ય વિસ્તારોમાં આવેલી ફરસાણની દુકાનો પર ગ્રાહકોની ભારે અવરજવર જોવા મળી હતી. પતંગ રસિયાઓ અને પરિવારો ઉત્તરાયણની ઉજવણી માટે ઊંધિયું, જલેબી અને ફાફડા જેવા પરંપરાગત વ્યંજનો ખરીદવા ઉમટી પડ્યા હતા. ઊંધિયું પ્રતિ કિલો રૂ. 360 ના ભાવે વેચાઈ રહ્યું હતું, જ્યારે ઘીની જલેબીનો ભાવ પ્રતિ કિલો રૂ. 560 હતો. હિંમતનગર મીઠાઈ અને ફરસાણ એસોસિએશનના પ્રમુખ મયુરભાઈ શેઠે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, શહેરમાં 20 થી વધુ દુકાનો ઉપરાંત ઉત્તરાયણને કારણે ઠેર ઠેર સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે. મયુરભાઈ શેઠના જણાવ્યા અનુસાર, હિંમતનગરમાં આજે અંદાજે 1500 કિલોથી વધુ ઊંધિયાનું વેચાણ થવાની શક્યતા છે. વહેલી સવારથી જ ફરસાણની દુકાનો અને સ્ટોલ પર ઊંધિયું લેવા માટે લાગેલી લાઈનો હજુ પણ ચાલુ છે, જે ઉત્તરાયણના ઉત્સાહને દર્શાવે છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 11:09 am

અમદાવાદ એરપોર્ટ પરથી 42 લાખનું વિદેશી ચલણ જપ્ત:100 ડોલર અને 1072 પાઉન્ડ સાથે મુસાફર બેંગકોક જઈ રહ્યો હતો ને કસ્ટમ્સ વિભાગે પકડ્યો

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU)એ એક મોટી કાર્યવાહી કરીને વિદેશી ચલણની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. બેંગકોક જઈ રહેલા એક મુસાફર પાસેથી કસ્ટમ્સ અધિકારીઓએ 42,06,340ની કિંમતનું વિદેશી ચલણ જપ્ત કર્યું છે. હિલચાલ શંકાસ્પદ લાગતા અટકાવ્યો ને વિદેશી ચલણ ઝડપાયુંપ્રાપ્ત વિગતો અનુસાર, કસ્ટમ્સ વિભાગને ચોક્કસ ગુપ્ત માહિતી મળી હતી કે એક મુસાફર ગેરકાયદે રીતે મોટી માત્રામાં વિદેશી ચલણની નિકાસ કરવાની ફિરાકમાં છે. આ બાતમીના આધારે એર ઈન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ 13 જાન્યુઆરી, 2026ના રોજ વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન, અમદાવાદથી બેંગકોક જઈ રહેલી વિયેટજેટ એર ફ્લાઇટ VZ-571 ના એક પુરુષ મુસાફરની હિલચાલ શંકાસ્પદ જણાતા તેને અટકાવવામાં આવ્યો હતો. ડોલર અને પાઉન્ડની નોટો સામાનમાં છુપાવી હતીજ્યારે અધિકારીઓએ મુસાફરના સામાનની ઝીણવટભરી તપાસ કરી, ત્યારે તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. મુસાફરે અત્યંત ચાલાકીથી તેના સામાનમાં વિદેશી નોટો છુપાવી હતી. 1172 વિદેશી ચલણી નોટો કબજે, ભારતીય કરન્સી મુજબ 42 લાખ મોટી માત્રામાં વિદેશી ચલણી નોટોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં 100 યુએસ ડોલરની નોટો (જેની કિંમત અંદાજે 8,91,000) અને 1072 પાઉન્ડ સ્ટર્લિંગની નોટો (જેની કિંમત અનુક્રમે 12,73,300 અને 20,42,040) મળી આવી છે. આમ, કુલ મળીને 1172 વિદેશી ચલણી નોટો કબજે કરવામાં આવી છે, જેની ભારતીય બજારમાં કુલ કિંમત અંદાજે 42,06,340 જેટલી થવા જાય છે. આ મામલે અત્યારે કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે. કસ્ટમ્સ વિભાગે તપાસ શરૂ કરીઆ કાર્યવાહી કસ્ટમ્સ અધિનિયમ, 1962 અને FEMA (ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ), 1999ની જોગવાઈઓના ભંગ બદલ કરવામાં આવી છે. કસ્ટમ્સ વિભાગે હાલ તમામ ચલણ જપ્ત કરી લીધું છે અને આ રેકેટમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં વધુ તપાસ તેજ કરી છે. નિયમો મુજબ, કોઈપણ મુસાફરે નિયત મર્યાદાથી વધુ વિદેશી ચલણ લઈ જતા પહેલા કસ્ટમ્સ સમક્ષ તેની જાહેરાત (Declaration) કરવી અનિવાર્ય છે. આ કિસ્સામાં મુસાફરે કોઈ પણ પ્રકારની જાણકારી આપી નહોતી.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 11:06 am

પાટણના લાયન્સ ક્લબની સેવા:છેલ્લા 14 વર્ષથી ગાયો માટે દાન એકત્ર કરી ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગૌશાળામાં દાન આપે છે

પાટણ લાયન્સ ક્લબ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગાયો માટે દાન એકત્ર કરવામાં આવ્યું છે. ક્લબ છેલ્લા 14 વર્ષથી આ પ્રવૃત્તિ કરી ગૌશાળાઓને મદદ કરી રહી છે. આ વર્ષે પણ લાયન્સ ક્લબના આગેવાનો અને કાર્યકરોએ શહેરના હિંગળાચાચર બગવાડા દરવાજા સહિતના વિવિધ વિસ્તારોમાંથી રાહદારીઓ અને વાહનચાલકો પાસેથી દાનની રકમ એકત્ર કરી હતી. મકરસંક્રાંતિનું પર્વ સમગ્ર ભારતમાં પતંગ ઉત્સવ તરીકે ઉજવાય છે. પાટણ શહેરમાં પણ ઉત્તરાયણનું વિશેષ મહત્વ છે. પતંગ રસિકો ધાબા પર પતંગ ચગાવી ઉજવણી કરે છે, ત્યારે લાયન્સ ક્લબ જેવી સેવાભાવી સંસ્થાઓ પશુઓ માટે દાન એકત્ર કરીને આ પર્વની ઉજવણી કરે છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 10:41 am

સુરતના રામનાથ ઘેલા સ્મશાનમાં અનોખી પરંપરા:પવિત્ર ષષ્ઠતિલા અગિયારસે પૂર્વજોના મોક્ષ માટે સ્મશાનમાં પૂજા, પૂર્વજોને પ્રિય એવી દારૂ અર્પણ કરાયો

આજે પવિત્ર ષષ્ઠતિલા અગિયારસનો પર્વ છે, જેને હિન્દુ ધર્મમાં અત્યંત મહત્વપૂર્ણ અને મોક્ષદાયની તિથિ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષની તમામ ૨૪ અગિયારસમાં આ અગિયારસનું સ્થાન વિશેષ છે, કારણ કે માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવતા દાન અને તર્પણથી પિતૃઓને સીધો મોક્ષ પ્રાપ્ત થાય છે. સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત રામનાથ ઘેલા સ્મશાન ભૂમિમાં આ ખાસ અવસરે વહેલી સવારથી જ લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. અહીં માત્ર ધાર્મિક વિધિઓ જ નહીં, પરંતુ પૂર્વજો પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને સ્મૃતિઓનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. લોકો પોતાના સ્વર્ગસ્થ પૂર્વજોના આત્માના કલ્યાણ માટે અને તેમના આશીર્વાદ મેળવવા માટે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા, જેના કારણે સમગ્ર સ્મશાન પરિસરમાં એક ગંભીર અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. રામનાથ ઘેલા સ્મશાનમાં પિતૃ તર્પણની પ્રક્રિયા સામાન્ય વિધિઓ કરતા અલગ આ પરંપરાની સૌથી અનોખી બાબત એ છે કે અહીં આવતા શ્રદ્ધાળુઓ પોતાના પૂર્વજોને જે વસ્તુઓ સૌથી વધુ ગમતી હતી, તેની સાથે પૂજા-અર્ચના કરે છે. રામનાથ ઘેલા સ્મશાન ભૂમિમાં પિતૃ તર્પણની પ્રક્રિયા સામાન્ય વિધિઓ કરતા થોડી અલગ છે. અહીં લોકો માનતા હોય છે કે પૂર્વજોને તેમની જીવતેજીવ પ્રિય હોય તેવી વસ્તુઓ અર્પણ કરવાથી તેઓ તૃપ્ત થાય છે. આ વિધિમાં ભોજનની વાનગીઓથી લઈને અન્ય વ્યક્તિગત શોખની વસ્તુઓનો સમાવેશ થાય છે. ભક્તો શ્રદ્ધાપૂર્વક ધૂપ-દીપ કરી પૂર્વજોની તસવીર સમક્ષ પૂજા કરે છે અને તેમને ભાવપૂર્વક વિનંતી કરે છે કે તેઓ તેમના ભોગનો સ્વીકાર કરે. આ પ્રકારની પૂજા પૂર્વજો અને પરિવાર વચ્ચેના અતૂટ બંધનને જીવંત રાખે છે. દારૂ અર્પણ કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છેઆ પૂજા વિધિ દરમિયાન એક વિશિષ્ટ અને પરંપરાગત બાબત એ જોવા મળી હતી કે જે પૂર્વજોને તેમના જીવનકાળ દરમિયાન દારૂ કે અન્ય કોઈ ચોક્કસ પીણાં પસંદ હતા, તેમના પરિવારજનો દ્વારા પૂજા અર્ચના સાથે તે તમામ વસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી. દારૂ અર્પણ કરવાની આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે અને તેને શ્રદ્ધા સાથે જોડવામાં આવે છે. પરિવારજનોનું માનવું છે કે પિતૃઓને જે ગમતું હતું તે અર્પણ કરવાથી તેમની આત્માને પરમ શાંતિ મળે છે. શાસ્ત્રોક્ત વિધિ મુજબ તર્પણ કર્યા બાદ, લોકો આ અનોખી આહુતિ આપીને પૂર્વજોની તૃપ્તિ માટે પ્રાર્થના કરતા નજરે પડ્યા હતા. આ પ્રકારની અર્પણ વિધિ સુરતની સંસ્કૃતિમાં પૂર્વજો પ્રત્યેની એક અલગ પ્રકારની આત્મીયતા દર્શાવે છે. ષષ્ઠતિલા અગિયારસે પૂજા કરવાથી પિતૃઓને નરકવાસમાંથી મુક્તિ મળેની માન્યતાષષ્ઠતિલા અગિયારસનું આધ્યાત્મિક મહત્વ વર્ણવતા વિદ્વાનો જણાવે છે કે રામનાથ ઘેલા સ્મશાન ભૂમિમાં આ દિવસે પૂજા કરવાથી પિતૃઓને નરકવાસમાંથી મુક્તિ મળે છે અને તેઓ સીધા મોક્ષના માર્ગે અગ્રેસર થાય છે. આ સ્મશાન ભૂમિને અત્યંત પવિત્ર માનવામાં આવે છે, જ્યાં ભગવાન શિવનો વાસ હોવાનું મનાય છે. લોકો દ્રઢપણે માને છે કે અહીં પિતૃઓને જે પણ અર્પણ કરવામાં આવે છે, તે સીધું જ તેમના સુધી પહોંચે છે. આ કારણોસર જ સુરતી પરિવારો પેઢીઓથી અહીં આવીને પૂર્વજોના નામે તર્પણ કરે છે. પિતૃઓના મોક્ષ માટેની આ શ્રદ્ધા આજે પણ આધુનિક યુગમાં અકબંધ જોવા મળી રહી છે, જે ભારતીય પરંપરાઓની ઊંડી મૂળિયાં દર્શાવે છે. પૂર્વજોની યાદમાં કેટલાય પરિવારજનો ભાવવિભોર થઈને રડતા જોવા મળ્યા પૂજા વિધિ દરમિયાન સ્મશાનમાં વાતાવરણ અત્યંત કરુણ અને ભાવુક બની ગયું હતું. પોતાના પૂર્વજોને ગુમાવી દેનાર પરિવારજનો જ્યારે તેમની યાદમાં વિધિ કરી રહ્યા હતા ત્યારે અનેક લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા. પૂર્વજોની યાદમાં કેટલાય પરિવારજનો ભાવવિભોર થઈને રડતા પણ જોવા મળ્યા હતા. આ માત્ર એક ધાર્મિક વિધિ નહોતી, પરંતુ પોતાના સ્વજનો પ્રત્યેનો આદર અને તેમનાથી વિખૂટા પડ્યાનું દુઃખ વ્યક્ત કરવાનું એક માધ્યમ પણ હતું. લોકો પિતૃઓની તસવીરો સામે હાથ જોડીને બેસી રહ્યા હતા અને તેમના જીવનના સંઘર્ષો તથા સ્મૃતિઓને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા. લાગણીઓના આ ઘોડાપૂરમાં દરેક જણ પોતાના પિતૃઓને યાદ કરવામાં મગ્ન હતા. ભક્તિ, મોક્ષની કામના અને પારિવારિક લાગણીઓનો અદભૂત સંગમ અંતમાં, આ અનોખી વિધિ સુરતી જનતાની પૂર્વજો પ્રત્યેની અતૂટ આસ્થાનો પુરાવો આપે છે. સમાજના વિવિધ વર્ગોમાંથી આવતા લોકો અહીં ભેદભાવ ભૂલીને માત્ર પિતૃ ભક્તિમાં લીન જોવા મળ્યા હતા. પૂર્વજોને પ્રિય એવી વસ્તુઓ જેમ કે દારૂ, ભોજન કે મિઠાઈ અર્પણ કરીને લોકોએ એક અનોખો સંદેશ આપ્યો છે કે મૃત્યુ પછી પણ સંબંધોનો અંત આવતો નથી. રામનાથ ઘેલા સ્મશાનમાં યોજાયેલી આ અર્પણ વિધિમાં ભક્તિ, મોક્ષની કામના અને પારિવારિક લાગણીઓનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 10:39 am

પાટણમાં સિદ્ધરાજ જયસિંહની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ:રાજપૂત સમાજ, નગરપાલિકાએ માલ્યાર્પણ કર્યું; પંચામૃત અભિષેક પણ કરાયો

પાટણના ચક્રવર્તી સમ્રાટ રાજા સિદ્ધરાજ જયસિંહની મકરસંક્રાંતિના દિવસે પુણ્યતિથિ નિમિત્તે બુધવારે શહેરના બગવાડા દરવાજા સ્થિત પ્રતિમાને રાજપૂત સમાજ, પાટણ નગરપાલિકા અને વિવિધ સામાજિક સંસ્થાઓ તથા આગેવાનો દ્વારા માલ્યાર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. રાજપૂત સમાજ દ્વારા પંચામૃતથી અભિષેક પણ કરાયો હતો. વીર વનરાજ ચાવડાએ વિક્રમ સંવત 802માં અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. પાટણમાં ચાવડા, વાઘેલા અને સોલંકી વંશના અનેક રાજાઓએ શાસન કર્યું હતું. સોલંકી કાળને ગુજરાતનો સુવર્ણકાળ કહેવામાં આવે છે. રાજા સિદ્ધરાજ જયસિંહે પાટણની ધૂરા સંભાળી ત્યારથી તેમણે પાટણના સીમાડાઓ વધાર્યા હતા અને તે સમયે પાટણ ગુજરાતની રાજધાની હતી. ઉત્તરાયણના દિવસે આ ચક્રવર્તી સમ્રાટનું નિધન થયું હોવાથી, બુધવારે મકરસંક્રાંતિના પાવન પર્વ પ્રસંગે તેમની 883મી પુણ્યતિથિ નિમિત્તે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, પાટણ નગરપાલિકા સહિત વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને નગરના આગેવાનોએ બગવાડા દરવાજા ખાતે સ્થાપિત રાજા સિદ્ધરાજ જયસિંહની પ્રતિમાને માલ્યાર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા અને તેમની યશોગાથા વાગોળી હતી.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 10:34 am

સેલવાસથી સુરત લઈ જવાતો લાખોનો વિદેશી દારૂ ઝડપાયો:વલસાડ LCBએ બે આરોપીને પકડ્યા, એક ફરાર

વલસાડ LCB ટીમે સેલવાસથી સુરત લઈ જવાઈ રહેલો લાખો રૂપિયાનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં ₹4,08,960/-ની કિંમતનો દારૂ અને અન્ય મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી ફરાર છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ અને LCB PI ઉત્સવ બારોટના નેતૃત્વમાં લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી. ખાનગી બાતમીના આધારે વાપી નજીક મોજે સલવાવ, એમ.ક્યુબ-02 બિલ્ડિંગ સામે, નેશનલ હાઈવે નં. 48 પરથી મુંબઈથી સુરત તરફ જઈ રહેલી ગ્રે કલરની FIAT PUNTO કાર (નં. GJ-05-JL-6375)ને અટકાવી તપાસ કરવામાં આવી હતી. કારની તપાસ દરમિયાન તેની વચ્ચેની સીટ અને ડિક્કીના ભાગમાંથી વિદેશી દારૂના કુલ 37 બોક્સમાં 876 બોટલ દારૂ મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત ₹4,08,960/- થાય છે. દારૂ ઉપરાંત, ₹3 લાખની કિંમતની કાર અને બે મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા, આમ કુલ ₹7,18,960/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે કારચાલક પ્રભુસિંહ જ્યોધસિંહ ઉદયસિંહ રાવત (ઉ.વ. 26) અને ક્લીનર દેવેન્દ્રસિંહ કિશનસિંહ પ્રેમસિંહ રાવત (ઉ.વ. 22)ને ઝડપી પાડ્યા છે. બંને હાલ ઓલપાડ, સુરત ખાતે રહે છે અને મૂળ રાજસ્થાનના વતની છે. આ દારૂ ભરેલી કાર આપનાર અને પાયલોટિંગ કરનાર અશ્વીનકુમાર (રહે. સચીન, સુરત)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે, જેના પુરા નામઠામ અંગે વધુ તપાસ ચાલી રહી છે. આ અંગે LCBની ટીમે ડુંગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કબજે કરાયેલા મુદ્દામાલ અને ઝડપાયેલા આરોપીઓ અંગે ડુંગરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 10:30 am

લોઢવા સ્કૂલમાં મકરસંક્રાંતિની ભવ્ય ઉજવણી:વિદ્યાર્થીઓએ પતંગો ઉડાવી, પરંપરાગત વ્યંજનોનો આનંદ માણ્યો

લોઢવા ગામમાં આવેલી ન્યૂ સનશાઈન ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મકરસંક્રાંતિનો પાવન તહેવાર ઉત્સાહ અને ભારતીય સંસ્કૃતિના સંદેશ સાથે ઉજવવામાં આવ્યો હતો. સમગ્ર સ્કૂલ પરિસર તહેવારી માહોલથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ રંગબેરંગી પતંગો ઉડાવી તહેવારની ખુશી વ્યક્ત કરી હતી. ખુલ્લા આકાશમાં ઉડતા પતંગો અને બાળકોના હાસ્યભર્યા ચહેરાઓએ વાતાવરણને જીવંત બનાવ્યું હતું. વિદ્યાર્થીઓએ તલના લાડુ, મીઠાઈઓ તથા પરંપરાગત વ્યંજનોનો પણ આનંદ લીધો હતો. આ ઉજવણીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને સામૂહિક જીવનના મૂલ્યો પ્રત્યે સમજ વિકસાવવાનો હતો. મકરસંક્રાંતિ માત્ર તહેવાર નહીં, પરંતુ ઋતુ પરિવર્તન, નવી શરૂઆત અને સકારાત્મક ઊર્જાનો સંદેશ આપે છે, તે ભાવના બાળકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો. સમગ્ર સ્કૂલ પરિસર પતંગો, તહેવારી સજાવટ અને ખુશીના રંગોમાં રંગાઈ ગયું હતું. વિદ્યાર્થીઓમાં એકતા, ઉત્સાહ અને આનંદની ભાવના સ્પષ્ટપણે જોવા મળી હતી. ન્યૂ સનશાઈન ઇંગ્લીશ મીડીયમ સ્કૂલના પ્રિન્સિપાલ જશુભાઈ વાઢેરે આ પ્રસંગે જણાવ્યું હતું કે, “મકરસંક્રાંતિ જેવા પરંપરાગત તહેવારોની ઉજવણી દ્વારા બાળકોને આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડવાનો અમારો મુખ્ય ઉદ્દેશ છે. આજની ઉજવણીમાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ, એકતા અને આનંદ જોવા મળ્યો, જે અમારા માટે અત્યંત આનંદની વાત છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “ભવિષ્યમાં પણ શૈક્ષણિક સાથે-સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સ્કૂલ સતત પ્રયત્નશીલ રહેશે.” સ્કૂલ સંચાલન દ્વારા આયોજિત આ ભવ્ય ઉજવણીથી વિદ્યાર્થીઓમાં સંસ્કાર, પરંપરા અને તહેવારો પ્રત્યે આદરભાવ વિકસે તેવો હેતુ સિદ્ધ થયો હતો.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 10:27 am

મહીસાગરમાં ગાઢ ધુમ્મસ છવાયું:વિઝિબિલિટીમાં ઘટતાં વાહનચાલકોને મુશ્કેલી, ઠંડીનો ચમકારો વધ્યો

મહીસાગર જિલ્લામાં 14 જાન્યુઆરીના રોજ ઉતરાયણ પર્વના દિવસે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું. આના કારણે સમગ્ર જિલ્લામાં ઠંડીનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું હતું. જિલ્લા મથક લુણાવાડા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયું હતું. લુણાવાડા ઉપરાંત સંતરામપુર, ખાનપુર, ગોધર અને કડાણા સહિતના તાલુકાઓમાં પણ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ધુમ્મસને કારણે સવારના સમયે વિઝિબિલિટીમાં ઘટાડો થતાં વાહનચાલકોને સાવચેતી રાખવાની ફરજ પડી હતી. ધુમ્મસભર્યા વાતાવરણ સાથે ઠંડીનો પારો પણ વધુ ઘટ્યો હતો, જેના કારણે લોકોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો. વહેલી સવારે કામકાજ માટે નીકળતા લોકો ગરમ વસ્ત્રો પહેરીને બહાર નીકળ્યા હતા. ઠંડીની તીવ્રતા વધતા જનજીવન પર તેની અસર જોવા મળી હતી. ઉતરાયણના પર્વના દિવસે હાડ થીજાવતી ઠંડી અને ધુમ્મસના સંયોજનને કારણે સવારનું વાતાવરણ વધુ શીતળ બન્યું હતું. આની અસર રોજિંદા જીવન તેમજ માર્ગ વ્યવહાર પર પણ જોવા મળી હતી.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 10:25 am

પાટણમાં ઊંધિયું, જલેબી અને ફાફડા માટે લાંબી લાઈનો:વહેલી સવારથી જ સ્ટોલો પર લોકોની ભીડ જામી

પાટણમાં ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. પતંગ ચગાવવાની સાથે સાથે, શહેરના લોકોએ પરંપરાગત ઊંધિયું, જલેબી અને ફાફડાનો સ્વાદ માણવા માટે વહેલી સવારથી જ વિવિધ સ્ટોલો પર લાંબી કતારો લગાવી હતી. ભારતીય સંસ્કૃતિમાં તહેવારો સાથે ખાસ વાનગીઓ આરોગવાનું વિશેષ મહત્વ છે. ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઊંધિયું, ફાફડા અને જલેબી ખાવાની પરંપરા છે. વહેલી સવારથી જ એ લપેટ... કાપ્યો છે... જેવા અવાજોથી શહેરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું, જે પતંગરસિયાઓના ઉત્સાહને દર્શાવતું હતું. શહેરના મહોલ્લાઓ, પોળો અને સોસાયટી વિસ્તારોમાં પતંગ ચગાવવાની સાથે જ ખાણી-પીણીનો પણ માહોલ જામ્યો હતો. વિવિધ વિસ્તારો અને જાહેર માર્ગો પર ઊંધિયાના સ્ટોલ ધમધમતા જોવા મળ્યા હતા. પાટણવાસીઓએ લાખો રૂપિયાના ઊંધિયા, જલેબી અને ફાફડાની ખરીદી કરી પર્વની ઉજવણીમાં ચાર ચાંદ લગાવ્યા હતા. નાના ભૂલકાઓથી માંડીને મોટેરાઓ સુધી સૌ કોઈએ પતંગ ચગાવવાની મજાની સાથે સાથે આ સ્વાદિષ્ટ વાનગીઓની જ્યાફત ઉડાવી હતી. આમ, નગરજનોએ આનંદ અને ઉલ્લાસભેર ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 10:23 am

નલિયામાં 5.2 ડિગ્રી સાથે ઠંડીનો પારો ગગડ્યો:પવનની ગતિ 5થી 15 કિમી પ્રતિકલાકની, અમદાવાદમાં ઉત્તરાયણ પર AQIનું સ્તર 200ને પાર

ઉત્તરાયણના દિવસે પવન અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. રાજ્યમાં આજે એટલે કે, 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે પવનની ગતિ 5થી 15 કિમી પ્રતિકલાકની રહેશે. તાપમાનની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું હતું. નલિયામાં 5.2 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાતા ઠંડીનો પારો ગગડ્યો હતો. નલિયામાં રાજ્યની સૌથી વધુ ઠંડીઅમદાવાદમાં 12.6 ડિગ્રી સેલ્સિયસ વડોદરામાં 14.4 ડિગ્રી સેલ્સિયસ ભાવનગરમાં 15.4 ડિગ્રી સેલ્સિયસ ભુજમાં 9.6 ડિગ્રી સેલ્સિયસ દમણમાં 18.6 ડિગ્રી સેલ્સિયસ ડીસામાં 10.4 ડિગ્રી સેલ્સિયસ દીવમાં 12.5 ડિગ્રી સેલ્સિયસ દ્વારકામાં 14 ડિગ્રી સેલ્સિયસ કંડલામાં 11.5 ડિગ્રી સેલ્સિયસ નલિયામાં 5.2 ડિગ્રી સેલ્સિયસ ઓખામાં 17.3 ડિગ્રી સેલ્સિયસ પોરબંદરમાં 10.6 ડિગ્રી સેલ્સિયસ રાજકોટમાં 8.8 ડિગ્રી સેલ્સિયસ સુરતમાં 16 ડીગ્રી સેલ્સિયસ વેરાવળમાં 16.5 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં પ્રદૂષણનો પારો વધ્યોAQIની વાત કરીએ તો, ઉત્તરાયણના દિવસે અને તેની આસપાસના દિવસોમાં અમદાવાદનો AQI 200થી 250 ની વચ્ચે નોંધાયો છે, જે 'ખરાબ' (Poor/Unhealthy) શ્રેણીમાં આવે છે. હવામાં PM2.5 અને PM10 નું પ્રમાણ વધ્યું છે. પતંગબાજી દરમિયાન ફટાકડા ફોડવા, વાહનોનું પ્રદૂષણ અને શિયાળાના કારણે હવામાં જામતું ધુમ્મસ (Smog)ના કારણે AQI આટલો વધારે નોંધાયો છે. થલતેજ, બોપલ, શાંતિગ્રામ અને રખિયાલ જેવા વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર સૌથી વધુ જોવા મળ્યું છે. પતંગબાજીની મજા વચ્ચે અમદાવાદનો AQI 200ને પાર પહોંચ્યોઅમદાવાદીઓ માટે ઉત્તરાયણનો તહેવાર આનંદ લઈને આવ્યો છે, પરંતુ સાથે જ શહેરની હવામાં ઝેર પણ ભળ્યું છે. પતંગબાજીની મજા વચ્ચે આજે અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 200ને પાર પહોંચી ગયો છે. આજે વહેલી સવારથી જ અમદાવાદના આકાશમાં રંગબેરંગી પતંગોની સાથે પ્રદૂષણની ચાદર પણ જોવા મળી હતી. ઉત્તરાયણના પર્વે શહેરમાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે વધ્યું છે. આંકડાઓ મુજબ, શહેરના અનેક વિસ્તારોમાં AQI 200થી વધુ નોંધાયો છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે. અમદાવાદના આ વિસ્તારોની હવા ઝેરી બનીખાસ કરીને ગોતા, થલતેજ અને શાંતિગ્રામ જેવા વિસ્તારોમાં હવાની ગુણવત્તા સૌથી વધુ બગડી છે. વહેલી સવારની ઠંડી અને પતંગબાજો દ્વારા ફોડવામાં આવતા ફટાકડાને કારણે હવામાં પ્રદૂષિત કણોનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને અસ્થમા અને શ્વાસની તકલીફ ધરાવતા દર્દીઓ, વૃદ્ધો અને બાળકોને સાવચેત રહેવું. શું છે એર ક્વોલિટી ઇન્ડેક્સ?AQI જાણવા માટે વિવિધ પ્રકારના પ્રદૂષકોનું અવલોકન કરવામાં આવે છે અને એની માત્રા માપવામાં આવે છે. એના માટેની એક સ્ટાન્ડર્ડ પ્રક્રિયા છે. AQIનો સ્તર સૂચવે છે કે વાયુ-પ્રદૂષણ વધી રહ્યું છે કે ઘટી રહ્યું છે. AQIની રેન્જ 0થી 500 વચ્ચે હોય છે. AQI જેટલો ઓછો એટલી હવા સારી અને જેમ જેમ AQI વધે અમ અમ પ્રદૂષણ વધ્યું ગણાય. એર ક્વોલિટી ઇન્ડેક્સને વિવિધ સ્ટેજમાં ડિવાઇડ કરવામાં આવ્યો છે. વળી, દરેક સ્ટેજને એક ખાસ કલર કોડ આપવામાં આવ્યો છે, જેથી સરળતાથી જાણી શકાય અને સમજી પણ શકાય કે હવા કેટલી શુદ્ધ છે અને કેટલી પ્રદૂષિત છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ મુજબ જો હવાની ગુણવત્તાનો સ્કોર 0-100 વચ્ચે આવે તો સારી ગણાય, 101થી 200 વચ્ચે સાધારણ અને 201થી 300 વચ્ચે ખરાબ કહેવાય છે. જો 301થી 400 વચ્ચે હોય તો ખૂબ જ ખરાબ કહેવાય અને 401થી 500 વચ્ચે હોય તો તે અત્યંત ખરાબ કહેવાય છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 10:22 am

ભાજપના દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદના ઘરમાં આગ લાગી, ફાયરબ્રિગેડના 3 વાહનો ઘટનાસ્થળે

Fire at BJP MP Ravi Shankar Prasad Residence: ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ રવિશંકર પ્રસાદના દિલ્હી સ્થિત નિવાસસ્થાને આગ લાગવાની ઘટના બની છે. આ દુર્ઘટના બુધવારે સવારે આશરે 8 વાગ્યાની આસપાસ બની હતી. આગ લાગ્યાની જાણ થતા જ ફાયરબ્રિગેડનાં 3 વાહનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. રવિશંકર પ્રસાદનું આ ઘર દિલ્હીના 21 મધર ટેરેસા ક્રેસન્ટ રોડ પર આવેલું છે.

ગુજરાત સમાચાર 14 Jan 2026 9:53 am

સુરતના 125 બ્રિજ પર ટુ-વ્હીલર માટે નો-એન્ટ્રી:'સેફ્ટી ગાર્ડ' લગાવેલા હશે તો પ્રતિબંધમાંથી મુક્તિ, ઉત્તરાયણને લઈને પોલીસ કમિશનરનો નિર્ણય

સુરત શહેરમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર, આગામી 14 અને 15 જાન્યુઆરીના રોજ શહેરના અંદાજે 125 જેટલા ફ્લાય ઓવરબ્રિજ પર ટુ-વ્હીલર ચાલકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પતંગના દોરાના કારણે વાહનચાલકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત ન થાય અને કોઈ જાનહાનિ ન થાય તે હેતુથી આ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. 125 ફ્લાય ઓવરબ્રિજ પર ટુ-વ્હીલર ચાલકોની અવરજવર પર પ્રતિબંધતહેવારના દિવસોમાં ઓવરબ્રિજ પર પતંગના દોરા આવવાની શક્યતા વધુ હોય છે, જેનાથી ગળા કપાવવાની અનેક ઘટનાઓ અગાઉ બની ચૂકી છે. આ જોખમને ટાળવા માટે શહેરના તાપી નદી પરના બ્રિજ સિવાયના તમામ ઓવરબ્રિજ ટુ-વ્હીલર માટે બંધ રહેશે. જે વાહનચાલકો આ બે દિવસ દરમિયાન અવરજવર કરવા માંગતા હોય, તેઓએ ફરજિયાતપણે બ્રિજની નીચેના સર્વિસ રોડનો ઉપયોગ કરવાનો રહેશે. જોકે, ફોર-વ્હીલર વાહનો માટે બ્રિજ ખુલ્લા રહેશે. 'સેફ્ટી ગાર્ડ' લગાવેલા હશે તો પ્રતિબંધમાંથી મુક્તિઆ જાહેરનામામાં કેટલીક છૂટછાટ પણ આપવામાં આવી છે. જે ટુ-વ્હીલર ચાલકોએ પોતાના વાહન પર આગળના ભાગે સુરક્ષા માટે 'સેફ્ટી ગાર્ડ' લગાવેલા હશે, તેમને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવશે. આ ઉપરાંત, તાપી નદી પર આવેલા મોટા બ્રિજ પરથી ટુ-વ્હીલર પસાર થઈ શકશે, પરંતુ ત્યાં પણ ચાલકોએ તકેદારી રાખવી પડશે. પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે નાગરિકો પોતાની સુરક્ષા માટે નિયમોનું ચુસ્તપણે પાલન કરે. ઓવરબ્રિજ પાસે પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત તૈનાતપોલીસ કમિશનરના આ આદેશના અમલીકરણ માટે શહેરના દરેક ઓવરબ્રિજ પર પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. બ્રિજના ચઢાણ અને ઉતરાણના પોઈન્ટ પર પોલીસ કર્મચારીઓ સતત મોનિટરિંગ કરશે જેથી કોઈ ટુ-વ્હીલર ચાલક બ્રિજ પર ન જાય. જાહેરનામાનો ભંગ કરનાર વાહનચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને દંડ પણ વસૂલવામાં આવશે તેવી કડક સૂચના આપવામાં આવી છે. સુરત પોલીસ કમિશનરનો નિર્ણયસુરત પોલીસ દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય નાગરિકોની સુરક્ષા માટે અત્યંત મહત્વનો માનવામાં આવી રહ્યો છે. દર વર્ષે ઉત્તરાયણ પર દોરાથી ઘાયલ થનારા લોકોની સંખ્યામાં વધારો થતો હોય છે, ત્યારે આ વર્ષે પોલીસ પ્રશાસન કોઈ પણ પ્રકારની કચાશ રાખવા માંગતું નથી. શહેરીજનોને આનંદ અને સલામતી સાથે તહેવાર ઉજવવા અને પોલીસને સહકાર આપવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 9:43 am

પાટણમાં ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી:રંગબેરંગી પતંગોથી આકાશ છવાયું, 'એ કાપ્યો છે'ની બૂમો

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મકરસંક્રાંતિ પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું. નાના બાળકોથી લઈને યુવાનો સુધીના પતંગ રસિયાઓ 'કાપ્યો છે' અને 'લપેટ' જેવી બૂમો પાડી ઉત્સાહભેર પતંગો ચગાવી રહ્યા છે. પરિવારો સાથે અગાસીઓ પર પહોંચી લોકો તલસાંકળી, ફાફડા-જલેબી અને ઊંધિયાની જયાફત માણશે પતંગ કપાય ત્યારે 'એ કાપ્યો છે'ની ગગનભેદી ચીચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પતંગ ચગાવવા માટે પૂરતો પવન હોવાથી પતંગ રસિયાઓને ખૂબ મજા આવી હતી. સામાન્ય નાગરિકોની સાથે રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ પતંગ ચગાવી પર્વની ઉજવણીમાં જોડાશે

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 9:29 am

સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી દાદાને વિશેષ શણગાર:મકરસંક્રાંતિ પર્વે રંગબેરંગી પતંગોથી સજ્જ, સંતો દ્વારા ગૌ પૂજન

સાળંગપુર સ્થિત વિશ્વવિખ્યાત કષ્ટભંજન હનુમાનજી મંદિરે મકરસંક્રાંતિ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ઉતરાયણ નિમિત્તે દાદાને રંગબેરંગી પતંગોનો વિશેષ શણગાર કરાયો હતો, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. હનુમાનજી દાદાના સિંહાસનને વિવિધ ડિઝાઇનની પતંગો અને રંગબેરંગી દોરાની ફિરકીઓથી મનોહર રીતે શણગારવામાં આવ્યું હતું. સમગ્ર મંદિર પરિસરમાં ઉત્સવમય વાતાવરણ છવાયું હતું. મંદિરના સંતો દ્વારા હનુમાનજી દાદાની સન્મુખ પરંપરાગત રીતે ગૌ પૂજન કરવામાં આવ્યું. આ ઉપરાંત, ચિક્કી, મમરાના લાડુ સહિતની પરંપરાગત વાનગીઓનો ભવ્ય અન્નકૂટ પણ ધરાવાયો હતો, જેનો ભક્તોએ પ્રસાદ તરીકે સ્વીકાર કર્યો. મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે હરિભક્તોએ સાળંગપુર મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી અને હનુમાનજી દાદાના આશીર્વાદ મેળવ્યા. આ અંગેની માહિતી સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીએ આપી હતી.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 9:26 am