SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

25    C
... ...View News by News Source

લ્યો બોલો...હવે ખુલ્લી બોડીની ગાડીમાં દારૂ સપ્લાય:બે બોલ્ટ ખોલતા જ ખજાનાની જેમ દારૂ નીકળ્યો; બુટલેગરોનું ભેજું જોઈ LCB પણ ચોંકી ઉઠી

આજે ટેકનોલોજી જેમ-જેમ આધુનિક થઈ રહી છે, તેમ-તેમ હવે બુટલેગરો પણ અપડેટ થઈ અવનવા નુસખા અપનાવી પોલીસની આંખોમાં ધૂળ નાખી રહ્યાં છે. કોઈ સમજી કે વિચારી ન શકે તેવી ટેકનિક અપનાવી ભારતીય બનાવટના વિદેશી દારૂનું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ હાઈટેક તરકીબને જોઈ વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ પણ ચોંકી ઉઠી હતી. ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રસ્તામાં વોચ ગોઠવીવડોદરા ગ્રામ્ય જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે. આર. સિસોદીયા અને ટીમ મંજુસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે નંબર પ્લેટ વગરની ખુલ્લી બોડીવાળી ગાડીમાં અંડરગ્રાઉન્ડ ખાનું બનાવી વિદેશી દારૂ દુમાડ તરફથી નમીસરા ગામ તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા લામડાપુરા કેનાલ પાસે, પેટ્રોલ પંપ નજીક સાવલી-વડોદરા રોડ પર ગાડીની વોચ રાખી હતી. ગાડીની તપાસ કરતા બે શખસ મળી આવ્યાંબાતમી વાળી ગાડી આવતા તેને કોર્ડન કરી ઝડપી પાડી હતી. તપાસ દરમિયાન ગાડીમાંથી બે વ્યક્તિ મળી આવ્યા હતા, જેમાં કલુ ઉર્ફે કલ્પેશ ચીમનભાઈ જાતે નાયક (રહે. ભીંડોલ, વાઘ ફળીયું, તા. જેતપુરપાવી, જિ. છોટાઉદેપુર), અરૂણભાઈ હીરાભાઈ જાતે તડવી (રહે. પાનવડ, જુના પટેલ ફળીયા, તા. કવાટ, જિ. છોટાઉદેપુર)ને ઝડપી પૂછપરછ કરતા પોલીસે હકીકત બહાર લાવી કાર્યવાહી હાથ ધરી હતી. ડ્રાઇવર સીટની નીચે ચોરખાનું મળી આવ્યુંતપાસ દરમિયાન ગાડીની કેબિનમાં ડ્રાઇવર સીટની નીચે તથા પાછળની બોડીમાં પાર્ટીશન પાડી ગુપ્ત ખાનું બનાવેલું હોવાનું સામે આવ્યું હતું. તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ગણતરી કરતાં કુલ 124 ક્વાર્ટર-બીયરની બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂ.2,95,567 રૂપિયા થાય છે. આ સાથે પોલીસે ગાડી સહિત કુલ રૂપિયા 5,15,567 ના મુદ્દામાલ સાથે બે ઇસમો સામે કાર્યવાહી હાથ ધરી છે. MP બોર્ડરથી દારૂની હેરાફેરીપૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે, દારૂનો જથ્થો એમ.પી.બોર્ડર પાસેથી ગાડીમાં ભરીને લાવવામાં આવ્યો હતો અને તે નમીસરા ગામના રાકેશ નામના વ્યક્તિને આપવાનો હતો. આ અંગે મંજુસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. સાથે આ જથ્થો મંગાવનાર આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 8:20 am

જૂનાગઢના દત્ત ચોકમાં નાગા સાધુનો આતંક, પોલીસ દ્વારા અટકાયત:ખુલ્લી તલવાર સાથે શ્રદ્ધાળુઓને દોડાવ્યા, કપિરાજ દ્વારા લોકો પર હુમલો કરાવતા મિની કુંભમાં સનસનાટી

​જૂનાગઢના ભવનાથમાં જ્યાં એક તરફ શિવરાત્રિના મેળામાં ભક્તિ અને ભજનનો પ્રવાહ વહી રહ્યો છે, ત્યાં બીજી તરફ દત્ત ચોક વિસ્તારમાં એક સાધુના હિંસક વર્તનને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 12 ફેબ્રુઆરીની રાતે એક નાગા સાધુએ અચાનક ઉશ્કેરાઈ જઈને હાથમાં ખુલ્લી તલવાર ધારણ કરી નિર્દોષ લોકો અને શ્રદ્ધાળુઓ પાછળ દોડી તેમને ડરાવ્યા હતા. સાધુના આ રૌદ્ર અને અસંયમિત રૂપને જોઈને પવિત્ર મેળામાં દર્શનાર્થે આવેલા યાત્રિકોમાં નાસભાગ મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા આમ-તેમ દોડતા નજરે પડ્યાં હતા. સૂતેલા લોકોને ડરાવ્યાં, વાંદરાએ અનેકને બચકા ભર્યાઆ હિંસક બનેલા સાધુએ માત્ર તલવારથી જ ડર નથી ફેલાવ્યો, પરંતુ રસ્તાની બાજુમાં સૂતેલા નિરાધાર અને નિર્દોષ લોકોને પણ બેફામ માર માર્યો હતો. આટલું ઓછું હોય તેમ, સાધુએ પોતાની સાથે રહેલા કપિરાજ (વાંદરા) દ્વારા પણ લોકો પર હુમલો કરાવ્યો હતો. આ કપિરાજે અનેક શ્રદ્ધાળુઓને બચકા ભરીને અને પંજા મારીને ઈજા પહોંચાડી હતી. દત્ત ચોક જેવા વ્યસ્ત વિસ્તારને સાધુએ જાણે બાનમાં લીધો હોય તેવી સ્થિતિ સર્જાતા મેળાના શાંત અને ધાર્મિક વાતાવરણમાં ડર અને દહેશતનો માહોલ વ્યાપી ગયો હતો. પોલીસને જાણ થતા સ્થળે દોડી આવી​સ્થાનિક લોકો અને દૂર-દૂરથી આવેલા યાત્રિકોમાં આ પ્રકારના અશોભનીય વર્તનથી ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ભારે જહેમત બાદ ઉશ્કેરાયેલા સાધુને કાબૂમાં લઈ તેની અટકાયત કરી હતી અને તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. હાલ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 8:03 am

રાજુભાઈ ગાજ્યા અને AAP ઉપર જ વરસ્યા:વાંધો પડતા જુના ભેરૂએ ભાજપ કનેક્શન જોડી દીધું; આણંદમાં લગ્ન સમયે મારામારી થઈ, જુઓ VIDEO

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 6:00 am

મોક્ષ મંદિરોનું મ્યુ.ગ્રાન્ટમાંથી થશે નવીનીકરણ:રૂા.1.69 કરોડના ખર્ચે ચિત્રા મોક્ષ મંદીરનું થશે નવીનીકરણ

શહેરમાં આવેલા મોક્ષ મંદિરોને મહાનગરપાલિકા દ્વારા ગ્રાન્ટ આપીને નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા એકમાત્ર ચિત્રા મોક્ષ મંદિર માટે મહાનગરપાલિકા દ્વારા રૂ.1.69 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ટ્રસ્ટ સંચાલિત મોક્ષ મંદિરને ગ્રાન્ટ ફાળવતા આગામી દિવસોમાં તેના નવીનીકરણની કામગીરી ચાલુ કરવામાં આવશે. ભાવનગર શહેરના રાજકોટ રોડ ઉપર ચિત્રા GIDCમાં આવેલ ચિત્રા મોક્ષ મંદિરના વિકાસ માટે મહાનગરપાલિકાએ રૂ.1.69 કરોડની ગ્રાન્ટ ફાળવી છે. ચિત્રા મોક્ષ મંદિરમાં હાલ રોજીંદા છથી સાત જેટલા મૃતદેહો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. મહાનગરપાલિકા નવીનીકરણ માટે ગેસ ભઠ્ઠી બિલ્ડીંગ અને ભઠ્ઠી આપવાનો નિર્ણય કર્યો છે. ચિત્રા મોક્ષ મંદિરમાં દર વર્ષે 35 ટન જેટલો લાકડાનો ઉપયોગ થતો હોય છે ત્યારે જો ગેસ ભઠ્ઠીની સવલત મળે તો સીધો 50 ટકા ફાયદો થવાનો છે. ચિત્રા મોક્ષ મંદિરની અંદર મુક્તેશ્વર મહાદેવના મંદિરનું પણ નિર્માણ થઈ રહ્યું છે. મહાનગરપાલિકાની સત્તાધીશોને ટીમ અને સ્થાનિક પદાધિકારીઓના સહયોગથી આગામી દિવસોમાં ચિત્રા મોક્ષ મંદિરનું નવીનીકરણ થશે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 5:31 am

રિટર્નની ગોલમાલનો પર્દાફાશ થયો:ડેટા એનાલિસિસથી ખુલ્યો ભાંડો! લગ્નના કપડાં ભાડે આપતી પેઢી પર GST ત્રાટકી

સ્ટેટ જીએસટીના ભાવનગર યુનિટ દ્વારા કમ્પોઝિશન ટેક્સ તળે નોંધાયેલા કરદાતા તેઓની મુક્તિ મર્યાદાથી વધુના વેચાણ કરી અને કરચોરી કરી રહ્યા હોવાની ડેટા ચકાસણીના આધારે કરવામાં આવેલી રેડમાં વેરો, વ્યાજ, દંડના 20 લાખ રૂપિયા વસુલવામાં આવ્યા હતા. લગ્ન પ્રસંગે કપડા ભાડે આપી રહેલી વાઘાવાડી રોડ પર આવેલી પેઢી એ-1 શેરવાની દ્વારા કમ્પોઝિશન ગુડ્ઝ શ્રેણીમાં તેઓને મળી રહેલી વેચાણ મર્યાદાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાની ફલીત થયું હતુ. સ્ટેટ જીએસટીના અધિકારીઓ દ્વારા સ્થળ ચકાસણી કરતા તેઓને કોમ્પ્યુટર ડેટા, ભાડે અપાતા કપડાના ભાડા વસુલીના રેકોર્ડમાં ગોલમાલ, બેંક ખાતાની વિસંગતતા મળી આવી હતી. પેઢી પાસેથી 20 લાખ રૂપિયાનો દંડ, વ્યાજ, વેરો વસુલવામાં આવ્યો હતો. સ્ટેટ જીએસટીના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, કમ્પોઝિશન ગુડ્ઝ અને કમ્પોઝિશન સર્વિસ ડિલરો દ્વારા તેઓના કમ્પોઝિશન ટેક્સ રજીસ્ટ્રેશનમાં આપવામાં આવેલી મર્યાદાનું ઉલ્લંઘન કરી અને વધુ રકમનું વેચાણ કરી રહ્યા હોવાનું કોમ્પ્યુટર ડેટા, જુના રિટર્ન અને માર્કેટમાં ગુપ્ત રાહે શકમંદ વેપારીઓની કરવામાં આવેલી રેકી બાદ વધુ વેપારીઓ પણ શંકાના પરિઘમાં આવેલા છે, અને હાલ તેઓના ડેટા એનાલીસીસનું કામ ચાલી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 5:30 am

પઠાણી ઉઘરાણી:યુવકની ગેરહાજરીમાં વ્યાજખોરે ઘરે આવી પત્નિ પાસેથી રૂપિયા 8 હજાર પડાવી લીધા

ભાવનગર શહેરમાં રહેતા એક યુવકે પીરછલ્લાના વ્યાજખોરને 1.20 લાખ રૂપિયા વ્યાજ સહિત ચુકવી આપવા છતાં પણ વ્યાજખોરે યુવકની ગેરહાજરીમાં ઘરે આવી, યુવકની પત્નિ પાસેથી આઠ હજાર રૂપિયા પડાવી, યુવક પાસેથી વધુ 1.20 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી, ગાળો આપી, માનસિક ત્રાસ ગુજારતા ડ્રાઇવીંગ કરતા યુવકે પીરછલ્લાના વ્યાજખોર વિરૂદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે. ભાવનગર શહેરમાં આનંદનગર વિસ્તારમાં રહેતા અને ટ્રક ડ્રાઇવીંગ કરતા સુનીલભાઇ પ્રવીણભાઇ પુરોહીતે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને એકાદ વર્ષ અગાઉ ટ્રકના વ્યવસાય માટે રૂપિયાની જરૂર પડતાં પીરછલ્લા મંગલમ ફ્લેટમાં રહેતા જીતેન્દ્રભાઇ બાબુભાઇ પરમાર નામના શખ્સ પાસેથી રૂા. 1,00,000 દસ ટકા લેખે લેવાનું નક્કી કરેલ હતુ. જેને લઇને જીતેન્દ્રભાઇએ અગાઉથી દસ હજાર કાપી સુનીલભાઇને 90,000 રૂપિયા દસ ટકા લેખે વ્યાજે આપેલ હતા. જે બાદ સમયાંતરે સુનીલભાઇએ વ્યાજ સહિત રૂા. 1.20 લાખ જીતેન્દ્રભાઇને ફોન પે તેમજ અન્ય રીતે ચુકવી દિધેલ હતી. જે બાદ પણ જીતેન્દ્ર નામના વ્યાજખોરે સુનીલભાઇને વધુ રૂા. 1.20 લાખ મુદ્દલની રકમ આપવી પડશે તેમ કહી, અવાર નવાર ત્રાસ આપતા હતા. જે બાદ એક દિવસ સુનીલભાઇ ઘરે હાજર ન હોય જે દરમિયાન જીતેન્દર્ પરમાર મોટર સાયકલ લઇને સુનીલભાઇના ઘરે આવી, સુનીલભાઇના પત્નિને ધોકો બતાવી, તારો ઘરવાળો ક્યાં ગયેલ છે? મારી પાસેથી વ્યાજે લીધેલ પૈસા હજુ હજુ પુરા પાડેલ નથી અને જો મને તારો પતિ વ્યાજ સહિત રૂાપિયા 1.20 લાખ પાછા નહીં આપે તો હું તને તથા તારા પતિ સુનિલને ગમે ત્યાંથી ગોતીને મારી નાંખીશ તેમ ધમકી આપી, સુનીલભાઇના પત્નિ પાસે રહેલા રૂા. 8,000 પડવી લઇ ફરાર થઇ જતાં સુનીલભાઇ પુરોહિતે આનંદનગરના વ્યાજખોર વિરૂદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. વ્યાજખોરે યુવક પાસેથી ટ્રકની આર.સી.બુક પડાવી લીધેલીવ્યાજખોર જીતેન્દ્ર પરમારે એક લાખ રૂપિયા વ્યાજે આપી, સુનીલભાઇ પાસે લખાણ કરાવેલ હતી અને બાદમાં સુનીલભાઇના ટ્રકની આર.સી.બુક પડાવી લેવામાં આવી હતી. સુનીલભાઇએ વ્યાજ સહિત રૂા. 1.20 લાખ ચુકવી આપવા છતાં પણ વધુ રૂા. 1.20 લાખની પઠાણી ઉઘરાણી કરી આર.સી.બુક ન આપી, ત્રાસ આપ્યાનું જાણવા મળ્યું હતું.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 5:29 am

MLA દ્વારા કરાઈ રજૂઆત:વલભીપુર CHCમાં તબીબોની તાત્કાલિક નિમણૂંક કરવા ધારાસભ્યની રજૂઆત

વલભીપુર ખાતે 26મી જાન્યુઆરી-2026ના પ્રજાસત્તાક પર્વની ભાવનગર જિલ્લા કક્ષાની ઉજવણીની સાથે ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે વલભીપુર CHC (સામૂહિક આરોગ્ય કેન્દ્ર)ને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. વલભીપુર તાલુકાના લોકોની આરોગ્ય સુખાકારી માટે કરોડો રૂપિયાના ખર્ચે અદ્યતન સુવિધા સાથે બે માળની હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જોકે વલભીપુર CHCમાં ડોક્ટરોના અભાવે ર્દદીઓ હાલાકી ભોગવી રહ્યાના સૌરાષ્ટ્ર સમાચારના અહેવાલની અસરથી CHCમાં તબીબોની તાત્કાલિક નિમણુંક કરવા ધારાસભ્યએ રજુઆત કરી છે. વલભીપુરની મુલાકાતે આવેલા ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડીયાએ વલભીપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઘટતા બે ડોકટરોની તાત્કાલીક રીતે નિમણુંક કરવામાં આવે તેવી રાજયના આરોગ્ય મંત્રીને લેખીત રજુઆત કરી છે. CHCમાં તબીબોની નિમણુંક ઉપરાંત CHC કેમ્પસમાં આવેલ જર્જરીત બની ગયેલા સ્ટાફ કવાર્ટસની જગ્યાએ નવા કવાર્ટસ બનવવાની માંગણી કરી છે. વલભીપુરમાં કરોડો રૂપીયાના ખર્ચે બનાવામાં આવેલ આધુનીક સુવિધાસ્ભર સામૂહિક આરોગ્ય કેન્દ્રની હાલત જરૂરી તબીબોને અભાવે વરરાજા વગરની જાન જેવી સ્થિતિ સર્જાણી છે. વલભીપુર CHC નિયમિત ત્રણ તબીબોની સામે હાલ માત્ર એક તબીબ જ હાજર હોય છે. જેમાં બે તબીબ ઉચ્ચ અભ્યાસ અર્થે ગયા પછી એક તબીબ પુન: ફરજ પર હાજર થઇ ગયા છે અને બીજા તબીબ હજુ હાજર થયા નથી. જેને લઇ વલભીપુર તાલુકામાં નારાજગી ફેલાઇ છે ત્યારે વલભીપુર તાલુકાની જનતા આરોગ્યલક્ષી પ્રશ્નો બાબતે અખબારી અહેવાલને પગલે પ્રજાના પ્રતિનિધિ એવા ગઢડાના ધારાસભ્યએ આરોગ્ય મંત્રીને રજૂઆત કરતા તબીબોનો પ્રશ્ન ઉકેલાઈ જશે તેવી આશા જન્મી છે. વલભીપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબોની નિમણુંક થાય તો તાલુકાના લોકોને ભાવનગર સુધીનો ધક્કો ખાવાનો બંધ થઈ જાય છે ત્યારે આ બાબતે સંબંધિત તંત્રવાહકોએ યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 5:27 am

શખ્સે જાહેરમાં કુહાડીથી આતંક મચાવ્યો:કચરો ફેંકવા જતા વૃદ્ધા પર કુહાડીથી હુમલો બચાવવા આવેલા યુવકને પણ કુહાડી ઝીંકી

ભાવનગર જિલ્લાના સિહોર ગામે એક શખ્સે જાહેરમાં કુહાડી લઇને નિકળ્યો હતો અને આતંક મચાવ્યો હતો જે બાદ કચરો ફેંકવા જતા એક વૃદ્ધા ઉપર કુહાડીથી જીવલેણ હુમલો કરી, માથાના ભાગે કુહાડીના આડેધડ ઘા ઝીંક્યા હતા. જે દરમિયાન વૃદ્ધાને બચાવવા દોડેલા યુવકને પણ શખ્સે કુહાડીના ઘા ઝીંકી ફરાર થઇ જતાં સિહોરમાં ભારે ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો. જે ઘટના બાદ ગંભીર હાલતે વૃદ્ધા અને યુવકને સારવારમાં ખસેડાયા હતા જ્યાં વૃદ્ધાના પુત્રએ શખ્સ વિરૂદ્ધ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. ભાવનગર જિલ્લાના સિહોર ગામે રૂખડાવાળી શેરી મોટા ચોકમાં રહેતા અને કલર કામ કરતા ધર્મેશભાઇ રામજીભાઇ પલાણીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સિહોર રેલ્વે સ્ટેશન ઉપર કલર કામ કરી રહ્યા હતા જે દરમિયાન તેમના પુત્રનો ફોન આવેલ અને બાને માથાના ભાગે ઇજા થઇ છે તેમ કહેતા ધર્મેશભાઇ ઘરે દોડી આવ્યા હતા. જે બાદ તેમના માતા હીરાબેન આજે તેમના ઘરે હતા તે વેળાએ તેઓ કચરો ફેંકવા ઘરની બહાર ગયા હતા. જે દરમિયાન તેમની સોસાયટીમાં રહેતો ભુપત શાંતીભાઇ હરીયાણી કુહાડી સાથે ધસી આવ્યો હતો અને કચરો ફેંકવાની દાઝ રાખી વૃદ્ધા હિરાબેન ઉપર કુહાડી લઇને તૂટી પડ્યો હતો અને હિરાબેનને માથાના ભાગે કુહાડીના ઉપરા ઉપરી ઘા ઝીંક્યા હતા. જે વેળાએ હિરાબેને બચાવોની રાડો પાડતા કૃપાલભાઇ નામનો યુવક હિરાબેનને બચાવવા દોડી પડ્યો હતો જેને પણ શખ્સે કુહાડીના ઘા ઝીંકી, ગંભીર ઇજા કરી ફરાર થઇ જતાં સિહોરમાં ભારે ભયનો માહોલ છવાઇ જવા પામ્યો હતો. જે ઘટના બાદ વૃદ્ધા હિરાબેન અને કૃપાલભાઇને ગંભીર હાલતે સર.ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં હિરાબેનના પુત્ર ધર્મેશભાઇએ ભુપત શાંતિભાઇ હરીયાણી વિરૂદ્ધ સિહોર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 5:26 am

મારમાર્યો:બેલા ગામે પુત્રએ મિત્રો સાથે મળી મોટાભાઇ-પિતાને ગંભીર મારમાર્યો

તળાજાના બેલા ગામે વાડી વિસ્તારમાં રહેતા એક વૃદ્ધે તેના પુત્રને ખોટી લત્તે ચડેલા મિત્રો સાથે ન રહેવા બાબતે ઠપકો આપતા પુત્રએ ત્રણ મિત્રો સાથે મળી પિતા અને મોટા ભાઇને શરીરના જુદા જુદા ભાગો ઉપર આડેધડ ગંભીર મારમારી, ઇજા કરી ફરાર થઇ જતાં પિતા-પુત્રને ઇજાગ્રસ્ત હાલતે સારવારમાં ખસેડાયા હતા. જ્યાં પિતાએ પુત્ર સહિત ચાર શખ્સો વિરૂદ્ધ અલંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બેલા ગામે વાડી વિસ્તારમાં રહેતા લાલજીભાઇ બહાદુરભાઇ પરમાર (ઉ.વ.70)એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના ઘરની સામે રહેતા દિનેશ બીજલભાઇ પરમાર, શૈલેષ બીજલભાઇ પરમાર, રાજુ બીજલભાઇ પરમાર ત્રણેય ખોટી લત્તે ચડેલા હોય જેની સાથે લાલજીભાઇનો પુત્ર વશરામ રહેતો હોય જેની સાથે ન રહેવા માટે લાલજીભાઇએ તેમના નાના પુત્ર વશરામભાઇને ઠપકો આપ્યો હતો. જેને લઇને તેમના પુત્ર સહિત ચારેય શખ્સોએ એક સંપ કરી, પિતા વશરામભાઇ અને મોટા ભાઇ અજયભાઇને લાકડાના ધોકાથી શરીરના ભાગો ઉપર ગંભીર મારમારી, ઇજા કરી ફરાર થઇ ગયા હતા. જે બાદ ઇજાગ્રસ્ત પિતા-પુત્રને સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં પિતા લાલજીભાઇ બહાદુરભાઇ પરમારએ તેમનો નાનો પુત્ર વશરામ લાલજીભાઇ પરમાર, દિનેશ બીજલભાઇ પરમાર, શૈલેષ બીજલભાઇ પરમાર અને રાજુ બીજલભાઇ પરમાર વિરૂદ્ધ અલંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 5:25 am

ધરપકડ:બગદાણા પોલીસ મથકના કોન્સ્ટેબલ સહિત દસ શખ્સોની ધરપકડ કરાઇ

ભાવનગરના સિહોર ગામના નવાગામથી કનીવાવ ગામ તરફ જવાના રસ્તે બે પરિવારો વચ્ચે જમીન પ્લોટની વિવાદને લઇને સિહોર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જે બંદોબસ્ત હોવા છતાં પણ કેટલાક શખ્સો દ્વારા સશસ્ત્ર હથિયારો ધારણ કરી, બે પરિવાર વચ્ચે જૂથ અથડામણ સર્જાતા સિહોર પોલીસે ફરિયાદી બની સોળ આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધી હતી. જે મામલે સિહોર પોલીસે બગદાણા પોલીસ મથકના કોન્સ્ટેબલ સહિત દસ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સિહોર ખાતે ગઇકાલે રાત્રીના રોજ બે પરિવારો વચ્ચે ચાલી આવતા જમીન પ્લોટના વિવાદને લઇને સિહોર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. છતાં બગદાણા પોલીસ મથકના કોન્સ્ટેબલનો પરિવાર તેમજ સામા પક્ષે રહેલા પરિવારના સોળ શખ્સો દ્વારા જૂથ અથડામણ સર્જાવા પામી હતી. જે મામલે સિહોર પોલીસ ફરિયાદી બની હતી અને સોળ શખ્સો વિરૂદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેને પગલે સિહોર પોલીસે સિહોર ખાતે રહેતા અને બગદાણા પોલીસ મથકના કોન્સ્ટેબલ લખનસિંહ ભુપતસિંહ નકુમ, શૈલેષ દિપશંગભાઇ મોરી, દશરથ દેવશંગભાઇ પરમાર, પ્રતાપ જેસંગભાઇ પરમાર, વિક્રમ જેઠાભાઇ પરમાર, મોન્ટુ જેસંગભાઇ ચૌહાણ, હિતેશ દિપશંગભાઇ ચાવડા, મનુ વજાભાઇ નકુમ, કાળુ હરિભાઇ નકુમ, પ્રતાપ દેહાભાઇ નકુમની ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરાઇ છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 5:23 am

વીજકર્મીઓએ વ્યક્ત કર્યો વિરોધ:ભાવનગર સહિત રાજ્યમાં હજારો વીજ કર્મચારીઓએ નોંધાવ્યો વિરોધ

પાવર સેક્ટરમાં ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ખાનગીકરણ અને આઉટસોર્સીંગ નીતિને પ્રાધાન્ય આપતા વીજળી (સુધારા) બિલ-2025 મામલે નિર્ધારિત કાર્યક્રમ અનુસાર રાજ્યમાં હજારો વીજ કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. દિલ્હી સંસદભવનમાં રજૂ થનારા વીજળી (સુધારા) બિલ-2025 મામલે કેન્દ્ર સરકારના મક્કમ વલણના વિરોધમાં 12મી ફેબ્રુઆરીના AIPEF (ઓલ ઇન્ડિયા પાવર એન્જીનિયર્સ ફેડરેશ)ની સાથે ગુજરાતમાં GEBEA અને AGVKS સંગઠનો સાથે જોડાયેલા સભ્યો પણ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. ભાવનગર શહેરમાં સ્થાનિક કક્ષાએ ચાવડી ગેટ સ્થિત PGVCL ભાવનગર સર્કલ કચેરીની બહાર જીઇબી એન્જીનીયર્સ એસોસીએશન અને અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ સાથે જોડાયેલા એન્જીનીયર્સ તથા કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. PGVCLમાં ભાવનગર સર્કલ કચેરી સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અમરેલી, અંજાર, ભુજ, બોટાદ, જામનગર, જૂનાગઢ, મોરબી, પોરબંદર, રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય અને સુરેન્દ્રનગર સર્કલ કચેરીઓમાં પણ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો થયા હતા. વિરોધ પ્રદર્શનમાં 45 હજાર જેટલા કર્મચારીઓ જોડાયાવીજળી (સુધારા) બિલ-2025ના વિરોધમાં ઓલ ઇન્ડિયા પાવર એન્જીનિયર્સ ફેડરેશને રાષ્ટ્ર વ્યાપી હડતાલમાં આજે ગુજરાત રાજ્યમાં સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શનમાં 45 હજાર જેટલા કર્મચારીઓ જોડાયા હોવાથી કાર્યક્રમ સફળ રહ્યો હતો ત્યારે જો વીજળી (સુધારા) બિલ-2025 લાગુ કરવાનો પ્રયાસ કરાશે તો AIPEFની સૂચના અનુસાર વધુ આક્રમક કાર્યક્રમો આપવામાં આવશે. > એચ.જી.વઘાસિયા, જનરલ સેક્રેટરી, જીઇબી એન્જિનિયર્સ એસોસિએશન

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 5:21 am

મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરાશે:શિવકુંજ ધામમાં ભારતના બીજા નંબરના સ્ફટિક સ્વરૂપ ભગવાન શિવની પૂજા કરાશે

વિશ્વમાં મહાશિવરાત્રીના દિવસે કલ્યાણકારી ભગવાન શિવ બ્રહ્મા અને વિષ્ણુને દર્શન આપવા અવિકારી રૂપે પ્રગટ થયા તે દિવસ એટલે મહાશિવરાત્રી જે કલ્યાણની રાત્રી ગણવામાં આવે છે શિવકુંજ ધામ ખાતે ભવનાથ મહાદેવની તમામ પ્રહરની પૂજા વિવિધ રસોથી ભગવાનને અભિષેક કરીને કરવામાં આવશે જેમાં ખાસ કરીને દૂધ, શેરડીનો રસ ,મધ, કેરીનો રસ એટલે કે ફળોના રસનો તેમજ ગર્ભસ્થ જળ એટલે કે શ્રીફળના જળથી ભગવાનનો અભિષેક સાથે રૂદ્રાભિષેક અને પાઠાત્મક લઘુરૂદ્ર દ્વારા ભગવાનની અર્ચના કરવામાં આવશે .શિવ સહસ્ત્ર નામાવલીથી બિલીપત્ર ચઢાવવામાં આવશે . શિવરાત્રી મહાપૂજા નો ખુબ મહિમા છે મહાશિવરાત્રીના દિવસે કલ્યાણકારી ભગવાન શિવ બ્રહ્મા અને વિષ્ણુને દર્શન આપવા અવિકારી રૂપે પ્રગટ થયા તે દિવસ એટલે મહાશિવરાત્રી જે કલ્યાણની રાત્રી ગણવામાં આવે છે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતું આ પર્વ શિવજીના શરણે જવા જીવને ધન્ય બનાવે છે, શિવરાત્રીના દિવસે આખો દિવસ તથા રાત્રીના 2.45સુધી વ્યતિપાત યોગ છે તો શિવ પૂજા ઉપાસના માટે ઉત્તમ અને ફળદાયી છે . વ્યતિપાત યોગને શુભ કાર્યો માટે લેવાતો નથી પરંતુ પૂજાપાઠ જ પ તપ માટે ઉત્તમ અને ફળદાયી છે આથી આ દિવસે કરેલી રુદ્રી લઘુરુદ્ર અને શિવ ઉપાસના ઉત્તમ ફળ આપનાર બનશે. રાશિવાર શિવ અભિષેકની વિગત પૂજ્ય સીતારામ બાપુએ જણાવી છે. રાશિવાર અભિષેક કરવો

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 5:18 am

સરકારી લેબોરેટરીમાં પનીરના 5 નમૂના ફેઈલ:લુઝ પનીર વેચાય છે બનાવટી, દુગ્ધાલયના નમુના સબ સ્ટાન્ડર્ડ

ભાવનગર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા જાન્યુઆરી થી ડિસેમ્બર 2025 દરમિયાન પનીર લુઝ, કંપની પેક પનીર, મલાઈ પનીર, લો-ફેટ વગેરેના વાઘાવાડી શેડ.રિંગ રીડ, આખલોલ જકાતનાકા, ચિત્રા, ઘોઘા સર્કલ, ડોન ચોક, 14 નાળા, સરદાનગર વગેરે વિસ્તારમાંથી મળી 10 સેમ્પલ લેવામાં આવેલ છે તથા ટેસ્ટ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે. ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા અગાઉ લેવામાં આવેલ નમૂનાઓ પૈકી જોગીંદરસિંહ ચરણસિંહ સૂદે શેરે પંજાબ ઢાબ ચિત્રા પાસેથી પનીર લૂઝનો નમૂનો લેવામાં આવેલ હતો. જે સરકારી લેબોરેટરી દ્વારા સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. નરેન્દ્રસિંહ ચરણસિંહ સુદે, શેરે પંજાબ ઢાબા ચિત્રા પાસેથી પનીર લુઝનો નમૂનો લેવામાં આવલ હતો જે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. પંડ્યા અનીલ પ્રેમશંકર પંડયા દુગ્ધાલય આખલોલ જકાતનાકા પાસેથી પનીર લુઝનો નમૂનો લેવામાં આવેલ હતો જે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. રવિરાજસિંહ ચંદ્રસિંહ સરવૈયા, સોફ્ટ બી. વાઘાવાડી રોડ પાસેથી પનીર લૂઝનો નમૂનો લેવામાં આવેલ હતો જે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ. રઘુભાઇ ગીગાભાઈ માયડ, વૃંદાવન રેસ્ટોરન્ટ, રિંગ રીડ પાસેથી પનીર લુઝનો નમૂનો લેવામાં આવેલ હતો જે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જે તમામ પેઢી/આસામી પર FSSA-2008 એક્ટ મુજબ નિયમાનુસાર ધોરણોસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ દ્વારા જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 5:16 am

વેધર રિપોર્ટ:શહેરમાં બપોરના સમયે 32 ડિગ્રી તાપમાન સાથે બફારાનો અનુભવ

ભાવનગર આજે બપોરે મહત્તમ તાપમાનનો પારો વધીને 32 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા ઉનાળાના આરંભ જેવી ગરમીનો અનુભવ થયો હતો. તો વહેલી સવારે અને મોડી રાત્રે હળવી ઠંડક જળવાઈ રહી હતી, હાલ ઉત્તરથી ઉત્તર-પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યો હોવાથી વાતાવરણ સૂકું રહે છે. આજે શહેરમાં બપોરના સમયે સામાન્ય કરતા 2.0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન વધુ નોંધાયુ હતુ. શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 30.7 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ તે આજે 1.3 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 32 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 18.1 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે 18.5 ડિગ્રી સેન્ટીગ્રેડ રહ્યું હતુ. આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 66 ટકા હતુ તે સાંજે 53 ટકા રહ્યું હતુ. લઘુત્તમ ઉષ્ણતામાન પણ સામાન્ય કરતા 2.7 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયુ હતુ. ખાસ કરીને ઉત્તર-પશ્ચિમ દિશાથી 10 કિમીની ઝડપે પવન ફૂંકાયા હતા, જે વાતાવરણમાં ફેરફાર માટે કારણભૂત હતા. ફેબ્રુઆરીની શરૂઆતથી જ મહત્તમ તાપમાન 30 ડિગ્રી કે તેથી વધુ નોંધાઈ રહ્યું હોવાથી હવે કડકડતી ઠંડીનો અનુભવ થતો નથી.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 5:16 am

વેપારીઓ સાવધાન:ક્રેડિટ નોટ્સ પર GSTના નિયમો હવે વધુ કડક

ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) વ્યવસ્થામાં વધુ એક મહત્વપૂર્ણ સુધારો અમલમાં આવવા જઈ રહ્યો છે. કર સત્તાધિકારીઓ દ્વારા ક્રેડિટ નોટ્સના જીએસટી ટ્રીટમેન્ટને વધુ કડક બનાવવાના નિર્ણયથી વિવિધ ક્ષેત્રોના વ્યવસાયકારો પર સીધી અસર થવાની શક્યતા છે. નવા અપડેટ મુજબ, નિર્ધારિત શરતો હેઠળ જ ક્રેડિટ નોટ્સ પર જીએસટી જવાબદારી લાગુ પડશે, જે અગાઉની પ્રથાથી અલગ રહેશે. જીએસટી કાયદાના સુધારેલા અર્થઘટન અનુસાર, ક્રેડિટ નોટ જારી કરનાર સપ્લાયર્સે હવે સુધારેલા કર ધોરણોનું કડક પાલન કરવું પડશે. ખાસ કરીને, પ્રાપ્તકર્તા દ્વારા લેવામાં આવેલી વેરાશાખ ઉલટાવાઈ છે કે નહીં તેની ખાતરી કરવી જરૂરી બની રહેશે. આ પગલાનો મુખ્ય હેતુ મહેસૂલમાં થતી લીકેજને રોકવાનો અને દ્વિ-કર લાભના દાવાઓને અટકાવવાનો છે. પરંપરાગત રીતે, વેચાણમાં ઘટાડો, માલની પરતફેર અથવા મૂળ ઇન્વોઇસમાં ભૂલ જણાય ત્યારે સપ્લાયર દ્વારા ખરીદદારે ક્રેડિટ નોટ જારી કરવામાં આવતી હતી અને તે મુજબ કરપાત્ર મૂલ્યમાં સુધારો થતો હતો. પરંતુ તાજેતરના જીએસટી કાઉન્સિલના સુધારાઓ બાદ, જો પ્રાપ્તકર્તાએ વેરાશાખ રિવર્સ ન કરી હોય તો પણ સપ્લાયરને ક્રેડિટ નોટ પર જીએસટી જવાબદારી વહન કરવાની ફરજ પડી શકે છે. અગાઉ આ જોગવાઈ કડક રીતે અમલમાં નહોતી. ઉદ્યોગ સંસ્થાઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે આ નિર્ણય પારદર્શિતા વધારશે અને ટેક્સ ક્રેડિટના દુરુપયોગને અટકાવશે. બીજી તરફ, કેટલાક ઉદ્યોગકારોનું કહેવું છે કે નવી જોગવાઈઓને કારણે નાના અને મધ્યમ ઉદ્યોગો માટે પાલનનો બોજ વધશે. ઘણા વ્યવસાયકારો પોતાની એકાઉન્ટિંગ સિસ્ટમમાં જરૂરી ફેરફાર કરવા અને કર સલાહકારોની મદદ લેવા લાગ્યા છે, જેથી ક્રેડિટ નોટ્સ પર જીએસટીનો યોગ્ય અમલ કરી શકાય અને સંભવિત દંડથી બચી શકાય. આ બદલાવોને લઈને કરદાતાઓમાં ચર્ચા તેજ બની છે અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) પાસેથી સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવાની માંગ ઉઠી છે. સત્તાવાળાઓનો દાવો છે કે સુધારેલી પ્રથા જીએસટી આવકમાં વૃદ્ધિ લાવશે અને ઉદ્યોગોમાં પારદર્શક તથા વાજબી પાલનને પ્રોત્સાહન આપશે. ભાસ્કર એક્સપર્ટસરકારની સુસંગત વ્યૂહરચના છેક્રેડિટ નોટના જીએસટી ટ્રીટમેન્ટને કડક બનાવવાના નિર્ણયની આ ગોઠવણ સરકારની પરોક્ષ કર પ્રણાલીને મજબૂત કરવા અને જીએસટી ક્રેડિટ અને જવાબદારીઓના સચોટ રિપોર્ટિંગને લાગુ કરવા માટેની વ્યાપક વ્યૂહરચના સાથે સુસંગત છે. - ભરતભાઈ શેઠ, વરીષ્ઠ ટેક્સ કન્સ્લટન્ટ

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 5:12 am

સફળ સારવાર:ટ્રાયજેમિનલ ન્યુરાલજીયાથી પીડિત વૃદ્ધાની સફળ સારવાર

વિશ્વમાં આશરે 7000થી વધુ દુર્લભ રોગો પૈકીના એક તેમજ સ્યુસાઇડ ડિસિઝ તરીકે ઓળખાતો ટ્રાયજેમિનલ ન્યુરાલજીયા અત્યંત પીડાદાયક રોગ છે. ટ્રાયજેમિનલ ન્યુરાલજીયા રોગથી પીડિત 85 વર્ષિય વૃદ્ધ મહિલા દર્દી છેલ્લા ઘણા મહિનાઓથી ચહેરાના એક ભાગમાં વીજળીના ઝટકા જેવો તીવ્ર દુખાવો અનુભવતી હતી. ખાવા, બોલવા, દાંત સાફ કરવા કે શહેરના ભાગે હળવો સ્પર્શ થવાથી પણ અસહ્ય પીડા અનુભવતી વૃદ્ધ મહિલા દર્દીનું ભાવનગર પેઇન એન્ડ સ્પાઇન સેન્ટરમાં રેડિયો ફ્રિક્વન્સી એબ્લેશન પદ્ધતિથી સફળ નિદાન કરાયું છે. ભાવનગર પેઇન એન્ડ સ્પાઇન સેન્ટરના પેઇન અને સ્પાઇન ફિઝિશિયન નિષ્ણાત ડો.હેતલ લીંબાણીએ વૃદ્ધ મહિલા દર્દીની વિગતવાર તપાસ અને નિદાન કર્યા બાદ રેડિયો ફ્રિક્વન્સી એબ્લેશન સારવાર પસંદ કરી હતી. આ મિનિમલી ઇનવેસિવ પદ્ધતિમાં લાઈવ એક્સરે માર્ગદર્શન હેઠળ કોઈ પણ પ્રકારની કાપકૂપ કે મગજ ખોલ્યા વગર જ ખાસ સાધન દ્વારા ટ્રાઈજેમિનલ નસ આજુબાજુ ઉચ્ચ ફ્રિક્વન્સીના તરંગો આપવામાં આવે છે. જેના કારણે દુખાવાના સંકેતો મગજ સુધી ન પહોંચે. દર્દીને લોકલ એનેસ્થેશિયા (બેભાન કર્યા વગર જ) હેઠળ કરાયેલી સારવાર સફળતાપૂર્વક પૂર્ણ થતા દુખાવામાં ઘટાડો અનુભવાયો હતો. ભાસ્કર નોલેજરેડિયો ફ્રિકવન્સી એબલેશન પદ્ધતિ શું છે ?ટ્રાયજેમિનલ ન્યુરાલજીઆ માટેની આ અદ્યતન પધ્ધતિ છે. પેઈન સ્પેશ્યાલીસ્ટ ડોક્ટર દ્વારા આ પધ્ધતિમાં ઇન્જેકશન વડે સારવાર આપવામાં આવે છે. ગાલની નજીક ચામડીનો ભાગ બહેરો કરી રેડિયો ફ્રિકવન્સીની સોય ટ્રાયજેમિનલ નર્વ સુધી લઇ જવામાં આવે છે. એકદમ ચોકસાઇ જળવાય તે માટે સીટી સ્કેન મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. એક વખત સોય ચોક્કસ જગ્યાએ મુકાય પછી ત્યાં રેડિયો ફ્રિકવન્સીનો કરંટ આપવામાં આવે છે. અદ્યતન મશીનો વડે આ સારવાર 30 થી 40 મિનિટમાં પૂર્ણ થઇ જાય છે અને દર્દી તુરંત જ દર્દ મુક્ત થઇ જાય છે. આ પ્રોસીજરમાં જે ભાગની નસ દબાતી હોય તે ભાગનેજ સારવાર આપવામાં આવે છે તેથી બીજા ભાગને કોઈ અસર થતી નથી. ઘણી વખત આ સારવાર પછી ત્રણેક વર્ષ પછી દુખાવો ફરી થાય તો ફરી થી સારવાર થઇ શકે છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 5:10 am

વર્ગખંડને બદલે હવે શેરીઓમાં શિક્ષકો જોવા મળશે:શ્વાનની ગણતરી માટે શિક્ષકોને આદેશ, ભાવનગરમાં બહિષ્કાર

શિક્ષકોને મતદાર યાદી સુધારણાનું કામ ચાલે છે ત્યાં હવે શ્વાનની ગણતરી કરવા અને તેનો સર્વે કરવાની કામગીરી સરકાર દ્વારા સોંપવામાં આવી છે તેનો ભાવનગર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે અને સ્પષ્ટ જણાવાયું છે કે શિક્ષકોનું મુખ્ય કાર્ય વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ આપવાનું છે. આવા બિન શૈક્ષણિક સર્વેની જવાબદારી સોંપવાથી શૈક્ષણિક કાર્ય પર માઠી અસર પડશે અને શિક્ષણની ગુણવત્તા તળિયે જશે. આથી ભાવનગર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા આ ગણતરી અને સર્વેની કામગીરીનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવા નિર્ણય કર્યો છે. સમિતિના પ્રમુખ ગોવિંદભાઈ બતાડાએ વધુમાં જણાવ્યું છે કે શ્વાનની ગણતરી કરવી એ શિક્ષણ વિભાગના કાર્યક્ષેત્રમાં આવતું નથી. આ કામગીરી અન્ય સંબંધિત વિભાગો જેમ કે નગરપાલિકા કે પશુપાલન વિભાગની હોઈ શકે શાળાઓની આ કામગીરી ગણાય નહીં. રાજ્યમાં પહેલેથી જ શિક્ષકો પર વિવિધ વહીવટી અને ઓનલાઈન કામગીરીનું ભારણ વધારે પડતું છે તેમાં આવા વિચિત્ર અને અપ્રસ્તુત સર્વે ઉમેરવા તે કોઈપણ પ્રકારે ન્યાયસંગત કે તર્કસંગત નથી. આ કારણોસર ભાવનગર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ શ્વાનની ગણતરી કરવા માટે આ પરિપત્રનો અમલ ન કરવાનો અને આ સર્વેની કામગીરીનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવાનો નિર્ણય કરે છે. આથી જિલ્લાના તમામ શિક્ષકો અને શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને આ રજૂઆત સરકારના ઉચ્ચ સ્તરે પહોંચાડવા ભાવનગરના ડીઇઓને રજૂઆત પણ કરવામાં આવી છે જેથી આ પરિપત્ર રદ કરવામાં આવે. પરિપત્રમાં શું આદેશ કરાયો છે ?નાયબ શિક્ષણ નિયામક દ્વારા કરવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રાજ્યની તમામ સંસ્થાઓ જેવી કે હોસ્પિટલ, દવાખાના, શૈક્ષણિક સંસ્થા, બસ સ્ટેશન, રેલવે સ્ટેશનમાં કૂતરાઓની સંખ્યા અંગે સચોટ માહિતી રાખવી અનિવાર્ય છે. ત્યારે રાજ્યની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને આસપાસના વિસ્તારમાં રહેતા કૂતરાઓનો સર્વે કરવા આદેશ કરાયો છે. કેવા કેવા કામો શિક્ષકો પાસે કરાવાય છેશિક્ષકોને તીડ ભગાડવાનું કામ, લગ્ન સમારોહ કે અન્ય સામાજિક પ્રસંગોમાં ભોજનનો બગાડ ન થાય તે ચકાસવાનું, શૌચાલય ગણવાનું કામ, ગામમાં ઢોર પશુઓની ગણતરીનું કામ, સુજલામ-સુફલામમાં ખાડા ખોદવા સહિતના કામો કરવા અંગે શિક્ષકોને કહેવામાં આવ્યું છે. હવે શૈક્ષણિક સંસ્થા આસપાસ કૂતરાની ગણતરી કરવા આદેશ કરાયો છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 5:09 am

ભાસ્કર બ્રેકિંગ:મહિલાના બ્લેકમેઈલિંગથી બિલ્ડર તુષાર ઘેલાણીએ આપઘાત કર્યો હોવાનો ઘટસ્ફોટ

શહેરના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીએ મહિલાના બ્લેકમેઈલિંગથી આપઘાત કર્યો હોવાનો ઘટસ્ફોટ પોલીસ તપાસમાં થયો હોવાનું જાણવા મળ્યું છે. 1 ફેબ્રુઆરીએ પોતાની લાઈસન્સવાળી રિવોલ્વર વડે જાતે લમણે ગોળી મારી આપઘાત કરી લીધો હતો. બિલ્ડરના આપઘાત પાછળ શરૂઆતમાં પારિવારિક ઝઘડો હોવાનું સામે આવ્યું હતું. જો કે હવે આ ચર્ચાસ્પદ આત્મહત્યા કેસમાં એક મહિલાએ તેમને ફસાવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. તુષાર ઘેલાણીના પરિવારજનો તેમની ઉત્તરક્રિયાની વિધિમાં વ્યસ્ત છે. ઉત્તરક્રિયા વિધિ પૂર્ણ થયા પછી પોલીસ બિલ્ડરના પરિવારજનોનાં નિવેદનો લઈને આત્મહત્યાની દુષ્પેરણાનો ગુનો નોંધવા માટે તજવીજ કરે તેવી શક્યતા છે. બિલ્ડર તુષાર ઘેલાણીની દીકરીના 5 ફેબ્રુઆરીએ લગ્ન થવાના હતા. જો કે, તે પહેલાં જ તુષાર ઘેલાણીએ 1 ફેબુઆરીએ પોતાની લાઈસન્સવાળી રિવોલ્વરથી લમણામાં ગોળી મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં તેમના પરિવારજનો સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં 5 દિવસની સારવાર બાદ તુષાર ઘેલાણીનું મૃત્યુ થયું હતું. જે દિવસે દીકરીના લગ્ન થવાના હતા તે જ દિવસે લગ્નને બદલે ઘરેથી પિતાની અર્થી નીકળી હતી. આ ચકચારિત કેસમાં હાલ સુધી તુષાર ઘેલાણીએ આપઘાત શા માટે કર્યો તે અંગે કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું ન હતું. જો કે, પોલીસ તપાસમાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં એક મહિલા તુષાર ઘેલાણીને બ્લેકમેલિંગ કરતી હોવાની વાત સામે આવી રહી છે. મહિલાએ બિલ્ડર પાસેથી દુકાનથી માંડીને અમુક મિલકતો પણ પડાવી હોવાનું મનાય છે. તુષાર ઘેલાણી આ મહિલાથી છુટકારો મેળવવા માંગતા હતા, પરંતુ મહિલા પીછો છોડતી ન હતી. વળી, દીકરીના લગ્નમાં આ મહિલાએ હોબાળો કરવાની પણ ધમકી આપી હતી. આથી તુષાર ઘેલાણીએ બદનામી થવાના ડરને કારણે આપઘાત કર્યો હોય તેવી માહિતી તપાસમાં મળી હતી. 2-3 દિવસમાં ગુનો દાખલ થઈ શકેઆ કેસમાં હાલમાં પોલીસ તુષાર ઘેલાણીના પરિજનોના નિવેદનોની રાહ જોઈ રહી છે. આગામી 2-3 દિવસમાં આ મામલે ગુનો દાખલ થાય તેવી પોલીસે શક્યતા વ્યક્ત કરી હતી. અત્રે, ઉલ્લેખનીય છે કે, તુષાર ઘેલાણી આ મહિલાનો પીછો છોડવા માંગતા હતા પણ મહિલા તેમને મચક આપતી ન હતી.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 5:04 am

કોંગ્રેસમાં ભડકો થયો:પાલિકાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસના ફિરોઝ મલેક, કલ્પેશ બારોટ આપમાં જોડાયા

સુરત પાલિકાની આગામી ચૂંટણીઓ પૂર્વે આજે સુરત કોંગ્રેસના અનેક દિગ્ગજ અને પાયાના કાર્યકરોએ સામુહિક રીતે આમ આદમી પાર્ટીનું દામન થામી લેતા કોંગ્રેસમાં ભડકો થયો છે. પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની હાજરીમાં સામાજિક કાર્યકર ફિરોઝ મલેક, પ્રવક્તા કલ્પેશ બારોટ સહિતના નેતાઓએ વિધિવત રીતે આપનો ખેસ ધારણ કર્યો હતો. આપે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપે તમામ સંસ્થાઓને ગુલામ બનાવી દીધી છે. આ તાનાશાહી સામે લડવા માટે આજે અનેક અનુભવી નેતાઓ આપમાં જોડાઈ રહ્યા છે. ફિરોઝ મલેક જેવા સામાજિક આગેવાન, જેમણે કોરોના કાળમાં એકતા ટ્રસ્ટ દ્વારા અભૂતપૂર્વ સેવા આપી હતી, તેમનું જોડાણ પાર્ટી માટે ગૌરવની વાત છે. આ ઉપરાંત કિરીટ વાઘેલા, સલીમ ઘડિયાળી, આરીફ શાહ અને મહિલા મોરચાના મીરાબેન બાવીસકર આપમાં જોડાયા છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 5:00 am

માર્કેટિંગમાં ટેકનોલોજીના ઉપયોગ વિશે સત્ર યોજાયું:ટેકનોલોજી ત્યારે જ અસરકારક બને છે, જ્યારે તેમાં માનવનો સ્પર્શ અને સમજણ જોડાય છે

કોર્પોરેટ કનેક્શન ગ્રુપ દ્વારા મેરિયોટ ખાતે એડ્વર્ટાઇઝિંગ એન્ડ માર્કેટિંગમાં ટેકનોલોજીના ઉપયોગ વિશે સેશનનું આયોજન કરાયું હતું. જેમાં એક્સિલન્ટ પબ્લિસિટીના વૈશાલ દલાલ વક્તા તરીકે હાજર રહ્યા હતા. તેમણે માર્કેટિંગ ક્ષેત્રે AIના ઉપયોગ વિશે આંત્રપ્રિન્યોર્સને માહિતગાર કર્યા હતા. ઉપરાંત AI થકી બિઝનેસને વધારવામાં મળતી મદદ વિશે પણ જણાવ્યું હતું. AI આપણું રિપ્લેસમેન્ટ નથી, પરંતુ મલ્ટીપ્લાયર છેAI આપણું રિપ્લેસમેન્ટ નથી, પરંતુ મલ્ટીપ્લાયર છે. AI + હ્યુમન= અસાધારણ પરિણામ. એકલું AI માત્ર એક રોબોટ સમાન છે. ટેકનોલોજી ત્યારે જ અસરકારક બને છે જ્યારે તેમાં માનવનો સ્પર્શ અને સમજણ જોડાય છે. AIને 70% બોરિંગ, રિપિટેટિવ કામ સોંપોવૈશાલ દલાલે એક સરળ 70/30 રૂલ શેર કર્યો હતો. તેમણે કહ્યું કે AIને 70% બોરિંગ, રિપિટેટિવ અને ક્લેરિકલ કામ સોંપવા જોઈએ. જેથી ટીમ 70% બ્રેઇન ક્રિએટિવિટી, સ્ટ્રેટેજી અને માનવીય વિચારશક્તિમાં લગાડવી. આજના સમયમાં સૌથી મોટી સમસ્યા ટેલેન્ટની નથી, પરંતુ ટેલેન્ટનો યોગ્ય ઉપયોગ ન થવાની છે. જો ટીમનો સમય માત્ર ડેટા ગોઠવવામાં, રિપોર્ટ બનાવવામાં કે સામાન્ય પ્રક્રિયાઓમાં જ વપરાઈ જાય, તો નવા વિચારો અને ઇનોવેશન માટે જગ્યા બાકી રહેતી નથી.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 5:00 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:રાહુલ ચૂંટણી ન લડી શકે તેવો પ્રસ્તાવ ભાજપ લાવ્યો; સુપ્રીમની લાલ આંખ, કહ્યું- ઘૂસખોર પંડત ફિલ્મનું નામ બદલો; બાંગ્લાદેશમાં BNP સરકાર

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર સંસદમાં ભાજપ દ્વારા લાવવામાં આવેલા એવા પ્રસ્તાવ સાથે જોડાયેલા રહ્યા, જેમાં રાહુલ ગાંધીના આજીવન ચૂંટણી લડવા પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે. બીજા મોટા સમાચાર બાંગ્લાદેશ ચૂંટણીના પરિણામો સાથે જોડાયેલા રહ્યા. અહીં BNP (બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી) એ બહુમતીનો આંકડો વટાવી દીધો છે. હવે તારિક રહેમાનનું આગામી PM બનવું નક્કી છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવા પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) ‘સેવા તીર્થ’માં શિફ્ટ થશે. તેઓ ‘સેવા તીર્થ’ બિલ્ડિંગ કોમ્પ્લેક્સના નામનું અનાવરણ કરશે. 2. નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારની સ્પેશિયલ કેબિનેટ મીટિંગ યોજાશે. જેમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. 3. NEET PG 2025-26ના ક્વોલિફાઇંગ કટ-ઓફ ઘટાડવાના મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. કાલના મોટા સમાચારો 1. રાહુલ વિરુદ્ધ વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ આવશે નહીં:ભાજપના સાંસદે રાહુલનું સભ્યપદ રદ કરવા માટે નોટિસ આપી, કહ્યું- તે ગેરમાર્ગે દોરી રહ્યા છે BJP સાંસદ નિશિકાંત દુબેએ આજે લોકસભામાં રાહુલ ગાંધી વિરુદ્ધ એક પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેમણે રાહુલ પર દેશને ગેરમાર્ગે દોરવાના આરોપ લગાવ્યા છે. દુબેએ રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ કરવા અને આજીવન ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે. મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર રાહુલ સામે વિશેષાધિકાર ભંગની નોટિસ લાવશે નહીં. પ્રિયંકા ગાંધીએ જવાબ આપ્યો, મોદીજીની છાતી 56 ઇંચ માપવામાં આવી હતી. તેમની સામે પણ એક પ્રસ્તાવ લાવવો જોઈએ. વાંચો સંપૂર્ણ સમાચાર 2. બાંગ્લાદેશ ચૂંટણી- BNPને બહુમતી મળી: ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાનનું વડાપ્રધાન બનવું નિશ્ચિત બાંગ્લાદેશમાં ગુરુવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)એ બહુમતી માટેનો 151 સીટનો આંકડો પાર કરી લીધો છે. પૂર્વ PM ખાલિદા ઝિયાના પુત્ર અને BNP અધ્યક્ષ તારિક રહેમાનનું વડાપ્રધાન બનવું લગભગ નક્કી છે. રહેમાને બે બેઠકો પર ચૂંટણી લડી હતી અને બંને બેઠકો પર જીત હાંસલ કરી છે. બીજી તરફ, જમાત-એ-ઈસ્લામીના નેતૃત્વ હેઠળના 11 પક્ષોના ગઠબંધનને અત્યાર સુધી માત્ર 45 બેઠકો મળી છે. જમાત ચીફ શફીકુર રહેમાને ઢાકા-15 બેઠક પરથી જીત મેળવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. 114 નવા રાફેલ ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી: ફ્રેન્ચ પ્રેસિડેન્ટ મેક્રોન ભારત આવવા પર સોદો થઈ શકે છે; 3.25 લાખ કરોડની ડિફેન્સ ડીલ ભારતના DAC (Defence Acquisition Council)એ ગુરુવારે ફ્રાન્સ પાસેથી 114 રાફેલ ફાઇટર જેટ ખરીદવાની ડીલને મંજૂરી આપી દીધી. તેમજ અમેરિકા પાસેથી 6 P-8I એરક્રાફ્ટ ખરીદવાના પ્રસ્તાવને પણ લીલી ઝંડી મળી ગઈ. રાફેલ ડીલ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના 17-20 ફેબ્રુઆરીના ત્રણ દિવસીય ભારત પ્રવાસ દરમિયાન પૂર્ણ થઈ શકે છે. ડીલ પૂર્ણ થતાં વાયુસેના પાસે લગભગ 150 રાફેલ જેટ થઈ જશે. તેમજ નૌકાદળ 26 કેરિયર-કમ્પેટિબલ રાફેલ વિમાનનો સમાવેશ કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતાવાળી DACમાં રાફેલ માટે 3.25 લાખ કરોડ રૂપિયાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રસ્તાવ હવે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS) પાસે સ્વીકૃતિ માટે મોકલવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. કાનપુર લેમ્બોર્ગિની કાંડ: અબજોપતિનો પુત્ર 7 કલાકમાં છૂટ્યો:પોલીસ રિમાન્ડનું કારણ જણાવી શકી નહીં, ઘટનાના 4 દિવસ પછી ધરપકડ કરી હતી કાનપુરમાં પૂર ઝડપવાળી લેમ્બોર્ગિનીથી 6 લોકોને ટક્કર મારનાર અબજોપતિ વેપારીનો દીકરો 7 કલાકમાં જ મુક્ત થઈ ગયો. આરોપીના વકીલ અનંત શર્માએ જણાવ્યું કે પોલીસે કોર્ટમાં 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જજે પૂછ્યું કે રિમાન્ડ શા માટે જોઈએ, જ્યારે બધી કલમો જામીનપાત્ર છે? આના પર ઇન્વેસ્ટિગેશન ઓફિસર કોઈ નક્કર જવાબ આપી શક્યા નહીં. આના કારણે કોર્ટે રિમાન્ડની અરજી ફગાવી દીધી. પછી 20 હજાર રૂપિયાનો જામીન બોન્ડ ભર્યા બાદ પોલીસે તેને છોડી દીધો. પોલીસે શિવમ મિશ્રાને ગુરુવારે સવારે 8 વાગ્યે ઘરની સામેથી ધરપકડ કરી હતી. પોલીસે દાવો કર્યો હતો કે શિવમ તપાસમાં સહયોગ નથી કરી રહ્યો. ગુરુવારે માહિતી મળી કે આરોપી એમ્બ્યુલન્સથી ભાગી રહ્યો છે. પોતાને છુપાવી રાખવાના આધારે તેની ધરપકડ કરવામાં આવી. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ‘ઘૂસખોર પંડત’ નામ બદલો નહીં તો રિલીઝ ભૂલી જાવ':મનોજ બાજપેયીની ફિલ્મના ટાઈટલ પર સુપ્રીમ કોર્ટની લાલ આંખ, નીરજ પાંડે સહિત કેન્દ્ર-સેન્સર બોર્ડને પણ નોટિસ નેટફ્લિક્સ પર રિલીઝ થનારી ફિલ્મ 'ઘૂસખોર પંડત' વિવાદોમાં સપડાઈ છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે આ ફિલ્મના ટાઈટલ સામે સખત વાંધો ઉઠાવતાં ફિલ્મ-નિર્માતા નીરજ પાંડે, કેન્દ્ર સરકાર અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ને નોટિસ ફટકારી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો ફિલ્મનું નામ નહીં બદલવામાં આવે, તો તેની રિલીઝ પર રોક લગાવી દેવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. NRIના બેંક લોકરમાંથી 45 તોલા દાગીના ગાયબ!:18 તારીખે દીકરીના લગ્ન હોય વડોદરાની કોસમોસ બેંકના લોકરમાંથી દાગીના લેવા ગયા હતા, અન્ય ખાતેદારો લોકર ચેક કરવા પહોંચ્યા અમેરિકામાં રહેતા અને વડોદરા દીકરીના લગ્ન માટે આવેલા એક NRI પરિવારે કોસમોસ બેંકના લોકરમાં રાખેલા 45 તોલા સોનાના દાગીના ગુમ થયા હોવાની ફરિયાદ કરી છે. ખાતેદારનું માનીએ તો, 2024માં તેઓએ સોના અને ચાંદીના દાગીના લોકરમાં મૂક્યા હતા. જેમાં આજે ચેક કરતા ફક્ત ચાંદીના દાગીના જ મળ્યા છે. જે સોનાના દાગીના, લગડી અને સિક્કા હતા તે ગાયબ છે. આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ બેંક લોકરમાં દાગીના ચોરી થયાની વાત ફેલાતા અન્ય ખાતા ધારકો પણ પોતાના લોકર ચેક કરવા બેંક પર પહોંચ્યા હતા. આ મામલે તપાસ ચાલી રહી હોય બેંકના બ્રાન્ચ મેનેજરે ટીપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 7. બીજા દિવસે ભવનાથમાં મોટા પ્રમાણમાં ભાવિકો ઉમટ્યાં:રવેડી અને મૃગીકુંડમાં શાહી સ્નાન માટે સાધુઓએ ધૂણી ધખાવી, ગિરનારી તળેટીમાં ‘હર હર મહાદેવ’નો નાદ ગુંજ્યો ગિરનારની ગોદમાં બિરાજમાન ભવનાથ મહાદેવના સાનિધ્યમાં આજે મેળાના બીજા દિવસે પણ મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. સમગ્ર દેશ-વિદેશમાંથી આવેલા સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓના કારણે ભવનાથ તળેટી અત્યારે 'શિવમય' બની ગઈ છે. ગિરનારના પથ્થરે પથ્થરમાં જાણે મહાદેવનો વાસ હોય તેવો અનુભવ ભાવિકો કરી રહ્યા છે. ભારતી આશ્રમના મહંત અને મહામંડલેશ્વર 1008 શ્રી હરિહરાનંદ ભારતી બાપુએ મેળાના બીજા દિવસના માહોલ અંગે જણાવ્યું હતું કે, આજે મેળાનો બીજો દિવસ છે અને ભવનાથ તળેટીમાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. આમ તો આખું વર્ષ આ ક્ષેત્ર શિવમય હોય છે, પરંતુ શિવરાત્રીના દિવસોમાં અહીંનો આનંદ અલૌકિક હોય છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : UNનો દાવો- દિલ્હી બ્લાસ્ટની જવાબદારી જૈશે લીધી:હુમલા માટે મહિલા આતંકવાદીઓની ભરતી કરી; રિપોર્ટમાં પહેલગામ હુમલાનો પણ ઉલ્લેખ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : આરોપ- ઇઝરાયલે ગાઝામાં પ્રતિબંધિત વેક્યૂમ બોમ્બ ફેંક્યા:એનાથી તાપમાન 3,500 ડિગ્રી પર પહોંચ્યું, હજારો લોકો વરાળ બનીને ગાયબ થઈ ગયા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : બેંગલુરુમાં એન્જિનિયરે ચાકુ મારીને માતા-પિતાની હત્યા કરી:સ્ટાર્ટઅપ માટે પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો; પિતા નિવૃત્ત નેવી ઓફિસર, માતા ડેન્ટિસ્ટ હતી વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : સૂટબૂટમાં સાંસદોની ધબધબાટી, VIDEO:તુર્કીની સંસદમાં જ એકબીજા પર તૂટી પડ્યા, નવા ન્યાયમંત્રીને શપથ લેતાં રોક્યા ને બબાલ થઈ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ચાંદી આજે ₹5,835 ઘટી, કિંમત ₹2.61 લાખ પ્રતિ કિલો થઈ:સોનું ₹1,175 ઘટીને ₹1.56 લાખ પર આવ્યું, જુઓ તમારા શહેરમાં સોનાનો ભાવ વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : શ્રીલંકાની બીજી સૌથી મોટી જીત:ઓમાનને 105 રનથી હરાવ્યું, મેન્ડિસ, રત્નાયકે અને શનાકાની ફિફ્ટી; ચમીરા-થિક્સાનાને 2-2 વિકેટ મળી વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : આજે વિજયા એકાદશી:અવરોધો દૂર કરવાની કામનાથી કરવામાં આવે છે વ્રત, જાણો કયા-કયા શુભ કાર્યો કરી શકાય વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ મુંબઈમાં તૈયાર થયો ‘મ્યુઝિકલ રોડ’ જાપાન અને અમેરિકાની જેમ હવે ભારતના મુંબઈમાં પણ પહેલો 'મ્યુઝિકલ રોડ' બનીને તૈયાર છે. નરીમન પોઈન્ટથી વરલી સુધી જનારા આ રસ્તા પરથી પસાર થતી વખતે ‘જય હો’ ની ધૂન સંભળાય છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. બોલિવૂડ ક્રાઇમ ફાઇલ્સ : હસીનાની જાળ અને ગેંગસ્ટરનો માસ્ટરપ્લાન!:બાથરૂમમાં લોહીથી લથપથ લાશ છોડીને હત્યારાઓ ભાગ્યા, બોલિવૂડ એક્ટરના પિતાની હત્યાનું રહસ્ય ખૂલતાં પોલીસ ચોંકી 2. બાંગ્લાદેશથી ભાસ્કર 25 વર્ષ પછી BNPનાં સત્તામાં આવવાનાં એંધાણ, પરંતુ બહુમતી નહીં:કટ્ટરપંથી જમાત પણ બહુ પાછળ નથી; હિન્દુ મતો વિના સરકાર નહીં બને 3. બ્લેકબોર્ડ: માની લાશ સાથે ત્રણ દિવસ સૂતો રહ્યો દીકરો:હાથ-પગ ને ચહેરો કીડીઓ ખાઈ ગઈ; હિમાલયનાં ભૂતિયા ગામડાંની કહાની 4. જેલ હવે 'ક્રિમિનલ યુનિવર્સિટી' નહીં બને:અમદાવાદ સેન્ટ્રલ જેલની નવી પહેલ, યુવા કેદીઓ માટે સ્પેશિયલ પ્લાન તૈયાર 5. તેલ લગાવવું વાળ માટે વરદાન કે શાપ?:ખોડો થવા પાછળ ઓઇલિંગ મોટું કારણ; ડર્મેટોલોજિસ્ટ પાસેથી જાણો તેલ નાખવાની સાચી રીત, હેર પ્રોટેક્શનની 12 ટિપ્સ 6. આજનું એક્સપ્લેનર:રાષ્ટ્રગાન પહેલાં આખું વંદે માતરમ્‌ નહીં ગાઓ તો શું થશે? નવા નિયમોની સંપૂર્ણ કહાની અને વિવાદોનું કારણ કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ:વડીલોના આશીર્વાદથી વૃષભ રાશિની આર્થિક સ્થિતિ સુધરશે, કુંભ જાતકોને ભાઈઓ સાથે વિવાદ થવાની શક્યતા (સંપૂર્ણ રાશિફળ વાંચો)

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 5:00 am

સિદ્ધિ:CMA ઇન્ટરમીડિયેટમાં RCIના સ્ટુડન્સની સિદ્ધિ

CMA ઇન્ટરમીડિયેટ પરીક્ષાના પરિણામોમાં રવિ છાવછરિયા ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કર્યું છે. સુરતમાંથી પ્રાપ્ત થયેલા 14 ઓલ ઇન્ડિયા રેન્કમાંથી 9 રેન્ક ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ મેળવ્યા છે. દીપ ગજેરા AIR 5 સાથે ગુજરાતમાં પ્રથમ ક્રમે, લોકેશ પાટીલ AIR 6 સાથે ગુજરાતમાં બીજા ક્રમે, જીનલ કોઠારી AIR 13 સાથે સુરતમાં ત્રીજા ક્રમે, ભાવિન વોરા AIR 20 સાથે સુરતમાં ચોથા ક્રમ સાથે રેન્ક હોલ્ડર્સ રહ્યા છે. જ્યારે વિભૂતિ અધવે AIR 39, ધવલ શિયાળે AIR 40, શ્યામ લાહોટીએ AIR 40, સૌરભ પુરોહિતે AIR 46, વિનાયક લુહારે AIR 48 રેન્ક પ્રાપ્ત કર્યો છે. દેશમાં બંને ગ્રુપનું કુલ પાસિંગ માત્ર 22 ટકા છે, જ્યારે સંસ્થામાંથી 50 ટકાથી વધુ વિદ્યાર્થીઓએ બંને ગ્રુપ પ્રથમ પ્રયત્નમાં પાસ કર્યા છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:58 am

પાણીપુરીવાળાએ રિક્ષાનો પીછો કરી ઠગોને પકડ્યા:બેંકમાં કાગળની ગડ્ડી આપી 65 હજાર પડાવ્યા, ટોળકી ઝડપાઇ

કતારગામ GIDCની બેંક ઓફ બરોડામાં પૈસા ભરવા માટે ગયેલા પાણીપુરીવાળાને કાગળની ગડ્ડી પકડાવી 65 હજાર લઇ ભાગતા ગડ્ડી ગેંગને પાણીપુરીવાળાએ જ પકડી પાડી હતી. પાણીપુરી વેચતો કતારગામનો 23 વર્ષીય દિપક બઘેલ ભોપાલમાં અભ્યાસ કરતા ભાઇને ફી મોકલવા 11મી ફેબ્રુઆરી એક વર્ષના ભાણેજ સાથે કતારગામ GIDCમાં બેંક ઓફ બરોડામાં ગયો હતો. ત્યારે ઠગ કમલેશ તિવારી (જોલવાગામ) આવી દિપકને ફોર્મ ભરી આપવા કહ્યું હતું. ભાણેજ રડતો હોવાથી તેણે ઠગને ફોર્મ ભરવા આપ્યું હતું.ત્યારે ઠગ અભિષેક યાદવે આવી કમલેશને પોતાના 2 લાખ બેંકમાં ભરી આપવાનું કહ્યું હતું. દિપકને બેંકની બહાર લઇ ગયા હતા.અભિષેકે રૂમાલમાં બાંધેલા બે બંડલ કમલેશને આપ્યા હતા. કમલેશે દિપકને વાતોમાં ભોળવી ‘તેની પાસેથી 65 હજાર લઇને તેના બદલે રૂમાલમાં બાંધેલુ બંડલ આપી બેંકમાં ભરી આવવા કહ્યું હતું. દિપકે રૂમાલ ખોલતા 500ની એક નોટની નીચે કાગળની થપ્પી હતી. બંને ગઠિયા રિક્ષામાં ભાગી ગયા હતા. દિપકે બાઇકથી રિક્ષાનો પીછો કર્યો હતો.આ દરમિયાનમાં લોકો પણ આ‌વી ગયા હતા. બંને ઠગ અને રિક્ષા ચાલકને પકડી પાડી મારમાર્યો હતો. દરમિયાનમાં પોલીસ આવી જતા પોલીસને ત્રણેયને પોલીસને સોંપી દીધા હતા. ‘મુંબઇથી શેઠના ઘરેથી રૂપિયા ચોરી લાવ્યો છું’અભિષેક બે રૂમાલમાં કાગળની થપ્પી લાવ્યો હતો અને મુંબઇમાં શેઠના ઘરેથી ચોરીને લાવ્યો હોવાનું કહ્યું હતું. આ પૈસા બેંકમાં ભરવા છે પણ મને મોડુ થાય છે એમ કહીને રૂ.20 હજાર કમિશન આપવાની વાત કરી દિપકને ફસાવવાની કોશિશ કરી હતી.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:54 am

સિલિન્ડર ફાટ્યો:દાગીના પીગળાવવાનું કામ ચાલી રહ્યું હતું ને સિલિન્ડર ફાટ્યો, જાનહાનિ ટળી

રૂધનાથપુરા ચોથીયા શેરીમાં સોના ચાંદીના દાગીના બનાવવાના કારખાનામાં ગુરૂવારે બપોરે કારીગરો કામ કરી રહ્યા હતા. ત્યારે સોના ચાંદી પીગળાવવા ઉપયોગમાં લેવાતા બ્લુ ફ્લેમ ગેસના સિલિન્ડરમાંબ્લાસ્ટ થયો હતો. સિલિન્ડરમાંથી પ્રેશર સાથે ફેકાયેલા ગેસથી કારખાનાના બારી બારણાના કાચનો ભુક્કો બોલી ગયો હતો. ધડાકાના અવાજથી ભાગદોડ મચી ગઈ હતી. કોઇકે જાણ કરતાં ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જોકે આ બનાવમાં સદનસીબે આગ લાગી ન હતી તેમજ કોઈને ઈજા પણ થઈ ન હતી. પરંતુ બ્લાસ્ટના કારણે આસપાસના રહીશોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:52 am

હાઈટેક ચોરીને રોકવા માટેનો માસ્ટર પ્લાન:HD CCTVથી પ્રશ્નપત્રો વાઇરલ ન થાય માટે પરીક્ષા સમયે સ્કૂલોએ વાઈફાઈ બંધ રાખવું પડશે

શિક્ષણ બોર્ડ અને પોલીસની ડિજિટલ વોચ હવે હાઈટેક ચોરી પર નજર રાખશે છે. ગુજરાત બોર્ડની ધોરણ-10 તેમજ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓમાં એચડી સીસીટીવી દ્વારા પેપર લીક થવાની સંભાવનાને લીધે સ્કૂલોને પરીક્ષા સમયે વાઈફાઈ બંધ રાખવા આદેશ કરાયો છે. આટલું જ નહીં, પરીક્ષાનું પરિણામ ન આવે ત્યાં સુધી પ્રશ્નપત્રોના વિતરણથી માંડીને ઉત્તરવહી તપાસવા સુધીની તમામ કામગીરીનું રેકોર્ડિંગ સુરક્ષિત રીતે સાચવવું જ પડશે. પરીક્ષામાં સીસીટીવીના કડક મોનિટરિંગની સાથે હવે રાજ્ય સરકારના નવા કાયદા ધ ગુજરાત પબ્લિક એક્ઝામ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) નો પણ અમલ કરાશે. જો એચડી સીસીટીવી ફૂટેજમાં કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરતો પકડાશે તો તેના વિરુદ્ધ માત્ર રોજકામમાં એન્ટ્રી થશે. પરંતુ, જો કેમેરામાં વિદ્યાર્થી સિવાયની કોઈ વ્યક્તિ (શિક્ષક, ક્લાર્ક કે અન્ય) સંડોવાયેલી જણાશે તો તેમની સામે સીધી પોલીસ ફરિયાદ (FIR) નોંધાશે. જો કોઈ શિક્ષક કે ટ્યુશન સંચાલક સીસીટીવીની નજરમાં રહીને પણ પ્રશ્નપત્ર સોલ્વ કરવામાં મદદ કરતા જણાશે, તો આ કૃત્ય નવા કાયદા મુજબ ગંભીર ગુનો ગણાશે અને કડક કાર્યવાહી કરાશે. ગુજરાત જાહેર પરીક્ષા કાયદો-2023 પેપર લીકને રોકવા માટે સરકારે ‘ધ ગુજરાત પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ’ અમલમાં લાવવામાં આવ્યો છે. ટેકનિકલ હેકિંગ રોકવા નિર્ણયડીઈઓ (DEO) કચેરીના સૂત્રો જણાવે છે કે, એચડી સીસીટીવીનું ડીવીઆર જો વાઈફાઈ સાથે કનેક્ટેડ હોય તો કોઈ પણ ટેકનિકલ ભેજાબાજો પોતાની કરામતથી તેને હેક કરી શકે છે. સીસીટીવીને ઝૂમ કરીને વિદ્યાર્થીને મળેલા પ્રશ્નપત્રનો ફોટો પાડી તેને વાયરલ જ કરી શકે તેવી ભીતિ છે. કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે પરીક્ષા કેન્દ્રો પર વાઈફાઈના કનેક્શન કાપી નાખવા જ પડશે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:52 am

ગોઝારો અકસ્માત સર્જાયો:બ્રિજ પર ડિવાઇડર સાથે ભટકાતા બાઇક સવાર યુવકનું મોત

કતારગામ મગન નગર ખાતે રહેતા 30 વર્ષીય સાગર જયરામ સીસનાળા ઈંડાની લારી ચલાવતા હતા. ગઈ તા.6 ફેબ્રુઆરીના રોજ તેઓ તેમના મિત્ર સંદીપ સાથે બાઈક પર નાસ્તો કરવા ગયા હતા. બંને નાસ્તો કરી પરત ફરતા હતા. ત્યારે વેડ વરીયાવ બ્રિજ પરથી પસાર થતી વખતે સાગરે બાઈક પરથી કાબુ ગુમાવતા બાઈક ડિવાઈડર સાથે ભટકાતા બંને નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં સાગર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે સંદીપને સામાન્ય ઈજા થઈ હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત સાગરને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:49 am

નોકરી ન્યુઝ:IES-ISSની 44 જગ્યામાટે 3 માર્ચ સુધી અરજી કરાશે,પરીક્ષા 19 જૂને

સંઘ લોક સેવા આયોગ (UPSC) દ્વારા ભારતીય આર્થિક સેવા (IES) અને ભારતીય આંકડાકીય સેવા (ISS)ની કુલ 44 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. અર્થશાસ્ત્ર (Economics) કે આંકડાશાસ્ત્ર (Statistics) વિષયમાં માસ્ટર્સ કરનાર યુવાનો માટે ક્લાસ-1 અધિકારી બનવાની આ શ્રેષ્ઠ તક છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો 3 માર્ચ 2026 સુધી ઓનલાઇન અરજી કરી શકશે, આઇઇએસ અને આઇએસએસની પરીક્ષાઓ આગામી 19 જૂને લેવામાં આવશે. આ પદો પર પસંદગી પામનાર ઉમેદવારને લેવલ-10 મુજબ રૂ. 56,100ના બેઝિક પે સાથે કેન્દ્રીય ધોરણ મુજબના ભથ્થાં અને સુવિધાઓ મળશે. ઉમેદવારની વય 21 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જનરલ અને OBC કેટેગરી માટે રૂ. 200 ફી રાખવામાં આવી છે, જ્યારે મહિલાઓ, SC, ST અને દિવ્યાંગ ઉમેદવારો માટે અરજી નિઃશુલ્ક છે. upsc.gov.in પર રજિસ્ટ્રેશન કરી શકાશે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:48 am

શિક્ષણ વ્યવસ્થામાં ભારતની વૈશ્વિક ગર્જનાનો પડઘો સંભળાશે:લોકશાહીથી લઈ સ્પેસ પાવર સુધીની ભારતની વિકાસયાત્રાને વણી લેવાઇ

દેશની શિક્ષણ વ્યવસ્થામાં હવે માત્ર ઐતિહાસિક તારીખો કે ગણિતના અઘરા સૂત્રો જ નહીં, પરંતુ ભારતની વૈશ્વિક ગર્જનાનો પડઘો સંભળાશે. NCERT દ્વારા તૈયાર કરાયેલા 19 સ્પેશિયલ મોડ્યુલ્સ હવે પાઠ્યપુસ્તકોની સીમાઓ તોડીને શિક્ષણને સીધું રાષ્ટ્ર અને સમાજ સાથે જોડશે. આ નવી પહેલ હેઠળ ભારત: મધર ઓફ ડેમોક્રેસી થી લઈને ઈન્ડિયા: અ રાઈઝિંગ સ્પેસ પાવર સુધીની ભારતની વિકાસયાત્રાને અભ્યાસક્રમમાં વણી લેવાઈ છે. કેન્દ્ર સરકાર નવી શિક્ષણ નીતિ (NEP 2020) ના માધ્યમથી શિક્ષણને ભારતીય રંગે રંગવા મક્કમ છે. જે વિદ્યાર્થીઓને માત્ર ડિગ્રી મેળવનારા યંત્રો નહીં, પણ રાષ્ટ્ર પ્રત્યે સંવેદનશીલ નાગરિક બનાવશે. કામની વાત : NCERTના 19 મોડ્યુલ્સ 1. ઈન્ડિયા સ્પેસ પાવર: અવકાશમાં ભારતની વધતી તાકાત.2. ચંદ્રયાન ઉત્સવ: ચંદ્ર પર લેન્ડિંગની ઐતિહાસિક સફળતા.3. સંવિધાન દિવસ: બંધારણ અને નાગરિક ફરજોની સમજ.4. જી-20 સમિટ: ભારતનું મજબૂત વૈશ્વિક નેતૃત્વ.5. ઓપરેશન સિંધુ: દેશની અભેદ આંતરિક સુરક્ષાની માહિતી.6. વિભાજન વિભીષિકા: ભાગલાની પીડા અને એકતાનો પાઠ.7. ભારતમાં સહકારિતા: સહકારથી આત્મનિર્ભરતાનો ગ્રામીણ વિકાસ.8. એક પેડ મા કે નામ: પર્યાવરણ અને પ્રકૃતિની જાળવણી.9. વિરાસત અને વિકાસ: વારસાનું જતન અને આધુનિક ભારત.10. એશિયન ગેમ્સ: ખેલકૂદમાં ભારતની સુવર્ણ સિદ્ધિઓ.11. કોવિડ-19 અભિયાન: મહામારી સામે દેશની જીતની ગાથા.12. સ્વચ્છતા મિશન: સફાઈ અને જાહેર આરોગ્યની જાગૃતિ.13. મધર ઓફ ડેમોક્રેસી: ભારતની પ્રાચીન લોકશાહીના મૂલ્યો.14. ડિજિટલ શક્તિ: UPI અને ટેકનોલોજીથી આવતો બદલાવ.15. આર્થિક શક્તિ: વિશ્વમાં ભારતનું મજબૂત અર્થતંત્ર.16. વિકસિત ભારત @2047: સમૃદ્ધ ભારતના નિર્માણનો લક્ષ્યાંક.17. નારી શક્તિ વંદન: મહિલા સશક્તિકરણનું નવું અભિયાન.18. નવા કાયદા-2023: ન્યાય વ્યવસ્થામાં ક્રાંતિકારી સુધારા.19. બિરસા મુંડા ગાથા: આદિવાસી ગૌરવ અને બલિદાનની કથા.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:48 am

2027ના ચાતુર્માસની ઉદઘોષણા કરાઇ:રાજરત્ન સુરીશ્વરજી 48 વર્ષના સંયમમાં પ્રથમવાર અઠવા સંઘમાં ચાતુર્માસ કરશે

શ્વેતાંબર મુતિપૂજક જૈન સંઘમાં અલગ અલગ ચાર સંઘમાં 2027ના ચાતુર્માસ માટે ઉદ્ઘોષણા બુધવારે વેસુ ઓમકારસૂરી આરાધના ભવન ખાતે કરવામાં આવી હતી. આચાર્યએ સુરતના સંઘોની વિનંતી સ્વીકારી સુરતમાં ચાતુર્માસ કરવા માટેની અનુમતિ આપતા સમગ્ર સંઘમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. જૈન સ્મુદાય માટે મહત્વની બાબત એ હતી કે સંયમપર્યાયના 48 વર્ષ પછી પ્રથમ વખત સુરતમાં રાજરત્ન સુરીશ્વરજી મહારાજ ચાતુર્માસ કરશે તેવી જાહેરાત કરવામાં આવતા તમામ સંઘો અત્યારથી આયોજન માટે તૈયાર થઈ ગયા હતા. આચાર્ય રાજરત્ન સૂરીશ્વજી મહારાજ અઠવા લાઈન્સ જૈન સંઘમાં ચાતુર્માસ કરશે તે ઉપરાંત અન્ય ત્રણ સંઘમાં પણ ઉદઘોષણા કરાઈ હતી જેમાં રશમિરત્નસૂરીશ્વરજી મહારાજ ઓમકાર સૂરી આરાધના ભવન વેસુ ખાતે, આચાર્ય હિતરત્નસુરીશ્વરજી મહારાજ ઓમકાર સૂરી આરાધના ભવન પાલ ખાતે, આચાર્ય અક્ષયરત્ન સુરીશ્વરજી મહારાજ સરેલાવાડી જૈન સંઘ ઘોડદોડ રોડ ખાતે ચાતુર્માસ કરી રહ્યા છે. તે સહિત 85 શ્રમણ શ્રમણીઓ આ સિવાયના અલગ અલગ સંઘોમાં ચાતુર્માસ કરશે. બે હજારથી વધુ શ્રાવકો માસક્ષમણ કરે તેવી સંભાવનાઅલગ અલગ સંઘના આગેવાનો ઉપરાંત 1000થી વધારે શ્રાવકોની હાજરીમાં આગામી ચાતુર્માસ માટેની જાહેરાત થઈ તેને સ્વીકારી સામુહિક રીતે જયઘોષ સાથે નિર્ણય સ્વીકારાયો હતો. શ્રાવક નિખિલ શાહે જણાવ્યું હતું કે રાજરત્નસુરીશ્વરજી જ્યાં પણ હોય ત્યાં માસક્ષમણની આરાધના અવશ્ય હોય છે. તેમના પ્રભાવથી સુરતમાં પણ ચારેય સંઘોમાં મળીને કદાચ 2000થી વધારે લોકો માસક્ષમણ- 30 દિવસના ઉપવાસ કરે તેવી સંભાવના નકારી શકાય નહીં.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:46 am

ડાયમંડ પાર્કનું કરાશે નિર્માણ:જી એમ ગ્રુપ દ્વારા પલસાણામાં આધુનિક ડાયમંડ પાર્ક બનાવાશે

સુરત એક એવું શહેર જ્યાં મહેનત સપનાઓને આકાર આપે છે અને ઉદ્યોગો નવી ઓળખ બનાવે છે. આ જ ભાવનાને આગળ ધપાવતા સુરતના અગ્રણી ઇન્ડસ્ટ્રિયલ પાર્ક ડેવલપર જીએમ ગ્રુપએ જાણીતા અભિનેતા અને સુરતના ગૌરવ પ્રતિક ગાંધીને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રજૂ કર્યા છે. તેઓ માત્ર એક સફળ અભિનેતા નથી, પરંતુ મહેનત, ઈમાનદારી અને આત્મવિશ્વાસનું જીવંત ઉદાહરણ છે. સુરતથી શરૂ થયેલી તેમની સફર આજે દેશ અને દુનિયામાં ઓળખ બનાવી ચૂકી છે. એ જ રીતે, જીએમ ગ્રુપ પણ સુરતમાંથી શરૂ થઈ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટના ક્ષેત્રમાં વિશ્વસનીય નામ બની રહ્યું છે.આ સહયોગ કોઈ સામાન્ય સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ નથી. આ એક વિચારધારાનો મેળ છે. જ્યાં વ્યવસાયને માત્ર ઈમારતો નહીં, પરંતુ સપનાઓ સાથે જોડાય છે. જીએમ ગ્રુપનો ઉદ્દેશ એવા ઇન્ડસ્ટ્રિયલ પાર્ક બનાવવાનો છે જ્યાં ઉદ્યોગકારોને માત્ર જગ્યા નહીં, પરંતુ વિકાસ માટેનું પૂરું ઇકોસિસ્ટમ મળે. નવી બ્રાન્ડ કેમ્પેઈન દ્વારા જીએમ ગ્રુપ એ સંદેશ આપે છે કે યોગ્ય ઇન્ડસ્ટ્રિયલ લોકેશન પસંદ કરવું સફળતાની પ્રથમ સીડી છે. સારી સુવિધાઓ, સરળ મંજૂરી પ્રક્રિયા, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લાંબા ગાળાની વૃદ્ધિ જીએમ ગ્રુપના પ્રોજેક્ટ્સને અલગ ઓળખ આપે છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:43 am

શિવરાત્રીને લઈને ભવ્ય આયોજન:બ્રહ્માકુમારીઝના 19 કેન્દ્રોના શિવરાત્રી મહોત્સવમાં પાંચ લાખ લોકો ભાગ લેશે

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીયા વિશ્વવિદ્યાલય સંસ્થા દ્વારા શહેરના 19 સેન્ટરો દ્વારા અલગ અલગ સ્થળે શિવરાત્રી મહોત્સવના આયોજનો કરવામાં આવ્યા છે. વરાછા સેન્ટર દ્વારા ઘીના શિવલિંગ બનાવવામાં આવ્યા છે. વરાછા સેન્ટરના મુખ્ય સંચાલિકા બ્રહ્માકુમારી તૃપ્તિબેને જણાવ્યું હતું કે શહેરના 19 સેન્ટરો દ્વારા આયોજીત મહોત્સવમાં પાંચ લાખથી પણ વધારે શ્રદ્ધાળુઓ લાભ લેશે. મજુરા, વરાછા, રાંદેર, રામપુરા, અમરોલી, પીપલોદ,નાણાવટ સહિતના સ્થળે કાર્યક્રમો

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:41 am

કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય:શહેરમાં ટેક્સટાઇલ એક્સપોર્ટ ફેસિલિટેશન સેન્ટર શરૂ કરી વિદેશોમાં નવા માર્કેટ શોધાશે

સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ટેક્સટાઈલ મંત્રાલયે ટેક્સટાઈલ કમિટીના માધ્યમથી દેશના પસંદગીના ક્લસ્ટરોમાં ‘ટેક્સટાઈલ એક્સપોર્ટ ફેસિલિટેશન સેન્ટર (TEFC)’ શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જેમાં સુરતને ટેક્નિકલ ટેક્સટાઈલ અને મેન-મેડ ફાઈબર (MMF) માટે પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવશે. એક્સપોર્ટ સ્પર્ધાત્મકતા વધારવા અને વિશ્વનાં નવા બજારોમાં પ્રવેશ સરળ બનાવવા માટે આ સેન્ટર માર્ગદર્શક ભૂમિકા ભજવશે. TEFCથી સુરતને કેટલો અને કેવી રીતે લાભ મળશે તે આ 5 પોઈન્ટથી સમજો એનાલિસિસ આ સુવિધા મળશે

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:38 am

હડતાળની અસર:બેંક હડતાળથી 5,000 કરોડના વ્યવહાર ખોરવાયા

આર્થિક-શ્રમ નીતિઓના વિરોધમાં દેશભરના 10 સેન્ટ્રલ ટ્રેડ યુનિયને આપેલા રાષ્ટ્રવ્યાપી હડતાળના એલાનને સુરતમાં વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો. આ હડતાળને કારણે 5,000 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શનને અસર થઈ હતી. સવારથી જ બેંક ઓફ ઈન્ડિયા સ્ટાફ યુનિયન અને અન્ય સંગઠનોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં કામદારો સુરત કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ હડતાળમાં માત્ર બેંક કર્મચારીઓ જ નહીં, પરંતુ LIC, રેલવે, પોસ્ટ, ઇન્કમટેક્સ, એસ.ટી., આંગણવાડી અને આશા વર્કરો પણ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:37 am

મુસાફરોના સમય અને નાણા બંન્ને બચશે:ડુંડી સુધી સિટી બસ દોડશે, પાંડેસરાને કનેક્ટિવિટી મળી

સિટી બસ ડુંડી (જિયાવ-બુડિયા રૂટ) સુધી લંબાવવામાં આવી છે. ડુંડીના અનુપમ સિટીની સામે જિયાવ-બુડિયા રૂટ પર રૂટ 505 શરૂ કરાયો હતો. આ રૂટ અગાઉ ચીકુવાડીથી બુડિયા સુધી ચાલતો હતો. નવા રૂટથી અનુપમ સિટી અને આસપાસના વિસ્તારોને નોંધપાત્ર ફાયદો થશે. સાથે જ બમરોલી અને પાંડેસરા સાથે સીધી કનેક્ટિવિટી પણ મળશે, જેનાથી મુસાફરીમાં સમય અને પૈસા બંનેની બચત થશે. વોર્ડ 30ના કાઉન્સિલર હસમુખ નાયકા, પિયુષા પટેલ અને રીના રાજપૂત ઘણા સમયથી રૂટ એક્સટેન્શન માટે માગણી કરી રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:36 am

100 મુસાફરોના જીવ તાળવે:રનવે ટચ થતાં ધડાકાભેર અવાજ આવ્યો કાબૂ મેળવવા પાયલટે પ્લેન ફરી ઉડાવ્યું

બુધવારે મોડી રાત્રે એરપોર્ટ પર ઇન્ડિગોની કોલકાતા-સુરત ફ્લાઇટમાં રિયલ લાઇફ થ્રિલર જેવો સીન જોવા મળ્યો હતો. 140 કિમીની ઝડપ સાથે લેન્ડિંગ કરી ટચડાઉન થતાં જ પ્લેનનું ટાયર રનવે સાથે ઘસડાતાં જોરદાર અસામાન્ય અવાજ આવ્યો હતો. જો કે, પ્લેન કંટ્રોલ બહાર જાય તે પહેલાં જ પાયલટે તરત જ નિર્ણય લઈ રનવે પરથી જ પ્લેનને ફરી ફૂલ પાવર સાથે હવામાં ટેક-ઓફ કરાવી દીધું હતું. આ અચાનક થયેલા ‘પ્રિકોશનરી ગો-અરાઉન્ડ’ને કારણે પ્લેનમાં બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે, હવામાં એક ચક્કર લગાવ્યા બાદ પ્લેનનું સુરક્ષિત લેન્ડિંગ થતાં તમામ મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો. આમ, પાયલટની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. આ ઘટનાને કારણે ફ્લાઇટ 20 મિનિટ મોડી પડી હતી. પાયલટ આ કારણોસર લે છે આવો નિર્ણય પ્લેન અચાનક ટેકઓફ કરે તો આટલું અચૂક કરો શું છે ‘પ્રિકોશનરી ગો-અરાઉન્ડ’?ATC સૂત્રો મુજબ, લેન્ડિંગ સમયે પાયલટને લાગે કે પ્લેન સુરક્ષિત નથી ત્યારે છેલ્લી ઘડીએ ફરી ટેકઓફ કરાવી દેવાય છે, જેને ‘ગો-અરાઉન્ડ’ કહેવાય છે. આ પ્રક્રિયા પાયલટની સજાગતા દર્શાવે છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:35 am

ઝીરો વેસ્ટ અભિયાન હેઠળ મ્યુનિ.ની પહેલ:પાલિકા કચેરીઓમાં પ્લાસ્ટિક બેન, બોટલ પણ લઈ લેવાશે

પાલિકા કચેરીઓમાં હવે પ્લાસ્ટિક બેગ કે પાણીની બોટલ લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકી દીધો છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કચેરીઓને પ્લાસ્ટિક મુક્ત બનાવાશે. ડેપ્યુટી કમિશનરે નોંધ રજૂ કરી ઝીરો વેસ્ટ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા નિર્દેશ જાહેર કર્યા છે. તેમણે કહ્યું કે, ઓફિસોમાં પ્લાસ્ટિકની બોટલ, પ્લાસ્ટિક ફ્લેક્સ, કટલરી અને ડિસ્પોઝલ વસ્તુઓનો ઉપયોગ કરી શકાશે નહીં. પાલિકાની કચેરીઓ અને પટાંગણથી 200 મીટરના અંતરે ટ્વિન ડબ્બા મૂકવા અને ‘Say No Single Use Plastics’ના બેનર લગાડાશે, જેથી કચેરીમાં પ્રવેશ વખતે જ કોઈ પરિસરમાં પ્લાસ્ટિકની વસ્તુ લઇ જઇ ન શકે. ચા-કોફીમાં પ્લાસ્ટિક કોથળી અને ચાના ગ્લાસના વપરાશ ઉપર પણ પ્રતિબંધ રહેશે. તૈયાર નાસ્તાના પેકેટ પણ કચેરીમાં લઇ જવાશે નહીં. આ સૂચનાઓનું તાત્કાલિક પાલન શરૂ કરાયું છે. પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવાની પણ રૂપરેખા તૈયાર કરાઇ છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:32 am

વેધર રિપોર્ટ:પારો સિઝનમાં પહેલીવાર 2.8 ડિગ્રી વધી 35.8 થતાં ગરમીની અસર શરૂ

શહેરમાંથી હવે ધીમે-ધીમે શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ગરમીએ પોતાનું જોર બતાવવાનું શરૂ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં વાતાવરણમાં આવેલા મોટા પલટાને કારણે ગુરુવારે સુરતીઓએ આકરી ગરમીનો અનુભવ કર્યો હતો, જેમાં ગરમીનો પારો એકાએક 2.8 ડિગ્રી ઉછળીને 36 ડિગ્રીની નજીક પહોંચી જતાં બપોરના સમયે રસ્તાઓ પર લૂ જેવો અહેસાસ થયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી બે દિવસ પણ પારો 34થી 35 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે, જેને કારણે બપોરે ગરમીની અસર યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુરુવારે શહેરનું મહત્તમ તાપમાન 35.8 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા વધુ રહ્યું હતું. જ્યારે લઘુતમ તાપમાન 19.5 ડિગ્રી જેટલું થતાં રાત્રિના સમયે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો. આમ, હાલમાં સુરતીઓ બેવડી ઋતુનો સામનો કરી રહ્યા છે. હવામાં સવારે ભેજનું પ્રમાણ 65 ટકા અને સાંજે 37 ટકા નોંધાયું હતું. આ સાથે જ ઉત્તર-પશ્ચિમ દિશાથી ફૂંકાયેલા 4 કિલોમીટરની ગતિના પવન પણ ગરમીથી રાહત આપવામાં નિષ્ફળ રહ્યા હતા. આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતાને જોતા આરોગ્ય વિભાગ દ્વારા પણ નાગરિકોને બપોરના સમયે પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવાનું શરૂ કરવા માટે સલાહ આપવામાં આવી છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શિયાળાની વિદાય સાથે હવે એસી અને પંખાનો વપરાશ પણ વધવાનો શરૂ થશે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:31 am

ડિજિટલ ગુજરાત:હવે રેશનકાર્ડ ધારકો માટે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી

ગુજરાત સરકારે મોટાભાગની સરકારી કામગીરી ઓનલાઇન બનાવી જાહેર વિતરણ વ્યવસ્થાના માળખામાં પણ એટીએમ શરૂ કર્યા છે ત્યારે આગામી રવિવારે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ જાહેર વિતરણ વ્યવસ્થામાં ગોલમાલ રોકવા અને કાળાબજારી અટકાવવા નવતર પ્રયોગ સાથે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ આવરી લેવાયેલા રેશનકાર્ડ ધારકો માટે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી અમલી બનાવવા જઈ રહી છે. અમદાવાદ ખાતે આગામી રવિવારે ડિજિટલ કરન્સીના લોન્ચિંગ બાદ રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં આ ડિજિટલ કરન્સી અમલી બનાવવામાં આવશે. જેમાં રેશનકાર્ડ ધારકો ઘઉં, ચોખા સહિતની વસ્તુઓ લેવા માટે આ કરન્સીનો ઉપયોગ કરી શકશે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થાના માળખાને ડિજિટલ બનાવવા નવતર પહેલ કરી છે જે અંતર્ગત આગામી સમયમાં રેશનકાર્ડ ધારકોના બેન્ક એકાઉન્ટ સાથે લિંક થયેલી ડિજિટલ કરન્સીનું વોલેટ આપવામાં આવશે. આ વોલેટમાં રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજની રકમ સીધી જ જમા થઇ જશે.જેથી આ રકમનો ઉપયોગ કરી રેશનકાર્ડ ધારક પોતાના વિસ્તારના સસ્તા અનાજના વિક્રેતાને ત્યાં જઈ ઘઉં, ચોખા, તુવેરદાળ કે ચણા લેવા માટે થમ્બ-ઓટીપીને બદલે ડિજિટલ કરન્સીનો ઉપયોગ કરી પોતાના માટે સરકારે નક્કી કરેલી જણસી ખરીદી શકશે. પુરવઠા વિભાગના સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદ ખાતે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી લોન્ચિંગ બાદ તુરંત જ સમગ્ર રાજ્યમાં આ સિસ્ટમ અમલી બનાવવામાં આવશે. ભવિષ્યમાં પુરવઠા વિભાગ યુપીઆઈ જેવા પ્લેટફોર્મને પણ ડિજિટલ કરન્સી સાથે જોડી દેશે જેથી રેશનકાર્ડ ધારકો રોકડાને બદલે સંપૂર્ણ પણે ડિજિટલ કરન્સી થકી જ રેશન મેળવી શકશે. મોબાઈલ એપથી થશે ડિજિટલ કરન્સીના વ્યવહારસેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી દરેક રેશનકાર્ડ ધારકના મોબાઈલમાં એક ખાસ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી ઉપયોગમાં લઇ શકાશે. સાથે જ જે રેશનકાર્ડ ધારક સાદો મોબાઈલ ધરાવતા હશે તેમને એસએમએસ મારફતે ડિજિટલ કરન્સી ઉપયોગ કરી શકે તેવી સવલત આપવામાં આવશે. નોંધનીય છે કે, રાજકોટ જિલ્લામાં હાલ 3,04,940 રેશનકાર્ડ ધારકો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સરકારના મફત અનાજ તેમજ રાહતદરે ખાંડ-દાળ વિતરણનો લાભ લઈ રહ્યા છે. કાળાબજાર સાથે ઓછું અનાજ આપવાની ફરિયાદ દૂર થશેરેશનકાર્ડ ધારકો માટે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી અમલી બનતા જાહેર વિતરણ વ્યવસ્થામાં હજુ પણ છાનાખૂણે ચાલી રહેલા કાળાબજારનું દૂષણ અટકશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં વાજબીભાવના દુકાનદાર રેશનકાર્ડ ધારકોને તેમના હિસ્સાનું સરકારે નક્કી કરેલ રાશન કરતા પણ ઓછું રાશન આપવાની ચાલ પણ નવી સિસ્ટમથી કાબૂમાં આવશે અને રેશનકાર્ડ ધારક જેટલું અનાજ મેળવશે એટલું જ ડિજિટલ કરન્સીથી ચૂકવણું કરશે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:23 am

મંદિરમાં ચોરીનો મામલો આવ્યો સામે:મંદિરમાં તસ્કરો ત્રાટક્યા, સોનાના મુગટની સાથે ચાંદીના ફરાની ચોરી

રાજકોટના જામનગર રોડ પર મનહરપુર-1માં તસ્કરોએ માતાજીના મઢ(મંદિર)ના તાળાં તોડી સોનાનો મુગટ, ચાંદીના ફરા સહિત કુલ રૂ.1.16 લાખની મતા ઉસેડી ગયા હતા. આ બનાવમાં, મનહરપુર શેરી નં.1માં પંચદેવ વાળી શેરીમાં રહેતા અને અહીં આવેલા ચામુંડા માતાજીના મઢની પૂજા-સેવા કરતાં વિજય દિનેશભાઈ બાણોધરાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તા.08/02/2026ના સવારે પૂજા કર્યા બાદ મંદિર વ્યવસ્થિત હતું. બીજા દિવસે સવારે જ્યારે તેઓ ફરી પૂજા કરવા ગયા ત્યારે મંદિરના ગર્ભગૃહમાંથી માતાજીના આભૂષણો ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું. તસ્કરો સોનાનો મુગટ આશરે 4 ગ્રામ વજન, ચાંદીના ચાર ફરા એમ કુલ રૂ.1,16,000ની માલમતા ઉસેડી ગયા હતા. ઘટના અંગે પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસી આરોપીઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:20 am

ભગવતીપરામાં લુખ્ખાઓનો આતંક:દારૂ પીવાના પૈસા આપવાની ના પાડનાર યુવક પર ધોકા વડે હુમલો

શહેરના ભગવતીપરામાં ધોકા-પાઈપ સાથે ધમાલ મચાવતા લુખ્ખા શખ્સોને દારૂ પીવાના પૈસા નહીં આપતા પોપટપરાના યુવક ઉપર હુમલો કર્યો હોવાનું બહાર આવતા પોલીસે ગુનો નોંધવા અને આરોપીઓને પકડી લેવા કાર્યવાહી કરી છે. પોપટપરામાં રહેતો અને કેટરિંગમાં મજૂરીકામ કરતો ઈમ્તિયાઝ અજીતભાઈ ઉકા નામનો યુવક પગપાળા તેના સસરાના ઘેર જતો હતો તે દરમિયાન ધોકા સાથે સરાજાહેર ધમાલ મચાવતા બે શખ્સે ધસી આવી તેની પાસે દારૂ પીવાના પૈસાની માંગ કરી હતી. જેથી ઈમ્તિયાઝે પૈસા આપવાનો ઈનકાર કરતા તેની ઉપર હુમલો કર્યો હતો. દરમિયાન દેકારો થતા લોકો એકઠા થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતા બી-ડિવિઝન પોલીસ મથકના જમાદાર કુલદીપસિંહ સહિતના સ્ટાફે તપાસ કરી ગુનો નોંધી આરોપીઓને પકડી લેવા કાર્યવાહી કરી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:20 am

ગમખ્વાર અકસ્માત સર્જાયો:વાહનમાંથી ઉતરી રોડ ક્રોસ કરતી વખતે રિક્ષાની ઠોકરે વૃદ્ધનું મોત

શહેરમાં ટ્રાફિક સમસ્યાની સાથે-સાથે જીવલેણ અકસ્માતોના બનાવો પણ અવારનવાર સર્જાતા હોય છે. ત્યારે વધુ એક બનાવમાં ત્રિકોણબાગે વાહનમાંથી ઉતરી રોડ ક્રોસ કરતા વૃદ્ધને રિક્ષાએ ઠોકરે લેતા વૃદ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવના પગલે પોલીસે અકસ્માત સર્જી ફરાર રિક્ષાચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. શહેરના ગાયત્રીનગર મેઈન રોડ પર આવેલી હસનવાડી શેરી નંબર 2/3ના ખૂણે બંધ શેરીમાં રહેતા દિલીપભાઈ કનૈયાલાલ મહેતા(ઉ.વ.67) નામના વૃદ્ધ ગઈકાલે બપોરે ચારેક વાગ્યા આસપાસ વાહનમાંથી ઉતરી રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવેલી રિક્ષાના ચાલકે વૃદ્ધને ઠોકરે લેતા માથા પર અને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ વૃદ્ધનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની પોલીસને જાણ કરવામાં આવતા એ-ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કે.આર.જોડિયા સહિતના સ્ટાફે દોડી જઈ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી મૃતકના પુત્રની ફરિયાદ પરથી અકસ્માત સર્જનાર રિક્ષાચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. પોલીસની તપાસમાં મૃતક નિવૃત્ત જીવન જીવતા હતા. સંતાનમાં બે પુત્ર છે. તેમજ તે બે ભાઈમાં મોટા હતા. પરિવારના મોભીના મોતથી અરેરાટી વ્યાપી જવા પામી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:19 am

કરપડાનો રાજીનામું આપ્યા બાદ આક્ષેપ:મને જેલમાંથી બહાર કાઢવાને બદલે આપના નેતાઓએ વધુ ફસાવવા પ્રયાસ કર્યા: કરપડા

બોટાદ કડદાકાંડ કેસમાં પોણા ચાર મહિના સુધી જેલવાસ ભોગવ્યા બાદ જામીન મુક્ત થયેલા આમ આદમી પાર્ટીના ખેડૂત સંગઠનના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ રાજીનામું આપ્યા બાદ રાજકોટ ખાતે પત્રકાર પરિષદને સંબોધી સ્ફોટક નિવેદન આપ્યું હતું. રાજુ કરપડાએ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ક્યારેય આમ આદમી પાર્ટીને ઊભી નહીં થવા દે તેવું જણાવ્યા બાદ કહ્યું હતું કે, પ્રદેશના નેતાઓએ મને જેલમાંથી બહાર કાઢવાને બદલે હું કેમ વધુ ફસાઈને જેલમાં રહું તેવા પ્રયાસો કર્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. બોટાદ જિલ્લાના હડદળમાં કપાસના કડદા મામલે આમ આદમી પાર્ટીના રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિતના નેતાઓ વિરુદ્ધ કેસ દાખલ થયો હતો જેમાં સતત પોણા ચાર મહિના જેલવાસ બાદ જામીનમુક્ત થયેલા રાજુ કરપડાએ બુધવારે પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપ્યા બાદ ગુરુવારે રાજકોટ ખાતે પત્રકાર પરિષદને સંબોધી આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતાઓ પર શાબ્દિક પ્રહાર કરી સ્ફોટક વિગતો જાહેર કરી હતી. રાજુ કરપડાએ કહ્યું હતું કે, કડદાપ્રથા નાબૂદ કરવા માટે આંદોલન કરતા 68 ખેડૂત સાથે અમે પોણાચાર મહિના જેલમાં રહ્યા. 307 જેવી ગંભીર કલમો અમારા પર લગાવવામાં આવી હતી.પાર્ટીએ હાઇકોર્ટના સારામાં સારા વકીલ રાખી જામીન અપાવવામાં આવશે એવી વાતો કરી, પરંતુ અમારા એક-બે નેતા અમે જેલમાંથી ન છૂટીએ એ માટે પ્રયાસો કરતા હતા એનું દુઃખ છે. સાથે જ પ્રથમ મુદત 27 ઓક્ટોબરે હાઇકોર્ટના સારામાં સારા વકીલને બદલે નાના વકીલ દલીલ કરવા આવ્યા હતા જેથી અમને જામીન ના મળ્યા. સાથે જ આપ નેતા સોરઠિયાએ તેમના પિતા સાથે પણ યોગ્ય રીતે વાત ન કરી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. ઈટાલિયા-સોરઠિયા ભાજપની બી ટીમરાજુ કરપડાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ નથી, પરંતુ મનોજ સોરઠિયા અને ગોપાલ ઈટાલિયા ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહ્યા છે. ચૈતરભાઈ, હેમંતભાઈ કે ઈસુદાનભાઈ કોઈ દિવસ પાર્ટી માટે નેગેટિવ વિચાર કરતા નથી હંમેશા તેઓ પાર્ટીને આગળ લાવવા પ્રયાસ કરે છે સાથે જ ઉમેર્યુ હતું કે, હું અરવિંદ કેજરીવાલજીથી નજીક આવ્યો આ વાત ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયા જોઈ શકતા ન હતા અને ત્યારથી મને પછાડી દેવાના પ્રયત્ન કરતા હતા. જે પણ પાર્ટીમાં જઈશ ત્યાં ખેડૂતો માટે કામ કરીશઆમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ હવે અન્ય કોઈ પાર્ટીમાં જોડાશો કે કેમ તે અંગેના જવાબમાં રાજુ કરપડાએ જણાવ્યું હતું કે, હાલમાં હું કોઈ પક્ષમાં જોડાવવાનો નથી. એક વાત ચોક્કસ કહીશ કે, હું ખેડૂત નેતા છું, ખેડૂત માટે લડીશ અને આગામી દિવસોમાં અમારી ટીમ સાથે મળી ચર્ચા કરવાની સાથે ખેડૂત સંમેલન પણ બોલાવીશું બાદમાં કોઈપણ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કરીશ. મહત્ત્વનું છે કે, આપમાં રાજીનામા બાદ કરપડા ભાજપ સાથે જોડાઈ રહ્યા હોવાના અણસાર મળી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:18 am

કોન્ટ્રાક્ટરને સ્પષ્ટ સંકેત:રામોલ-હાથીજણમાં ડ્રેનેજનું કામ આપવાની દરખાસ્ત અટકાવાઈ

મધ્ય ઝોનમાં વિવિધ વિસ્તારમાં ડ્રેનેજ નેટવર્ક નાખવા માટે મ્યુનિ.એ વી.સી. પ્રોજેક્ટ ઈન્ફ્રાને કામગીરી સોંપી હતી. જો કે આ કોન્ટ્રાક્ટરને ખૂબ ધીમી ગતિએ કામગીરી કરતાં હવે પૂર્વ ઝોનમાં રામલો-હાથીજણ વિસ્તારમાં ડ્રેનેજનું કામ આ કોન્ટ્રાક્ટરને આપવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ અટકાવી છે. રામોલ હાથીજણમાં ટીપી 76,78માં ખાસ કરીને હાથીજણ ગામમાં તેમજ આસપાસના વિસ્તારમાં ડ્રેનેજ નેટવર્ક નાંખવાના કામ માટે વોટર સપ્લાય અને સુઅરેજ વિભાગે ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. જેમાં 16.49 કરોડના ટેન્ડરમાં વી.સી. પ્રોજેક્ટ એન્ડ ઇન્ફ્રાનું સૌથી ઓછા ભાવનું ટેન્ડર આવ્યું હતું. જોકે આ દરખાસ્તને મંજુર કરતાં પહેલા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એ બાબત ધ્યાન પર લેવાઈ હતીકે, આ કોન્ટ્રાક્ટરને મધ્ય ઝોનમાં કામગીરી સોંપવામાં આવી છે. જો કે મંથરગતિએ કામગીરી ચાલતી હોવાથી જેથી આ કોન્ટ્રાક્ટરને ફરી કામ આપવામાં ન આવવું જોઇએ. જે સાથે આ દરખાસ્તને પરત કરી દેવાઈ છે. ધીમી કામગીરી નહીં ચલાવાયકોન્ટ્રાક્ટર ધીમી ગતિએ કામ કરે તો નિયત સમય મર્યાદામાં કામ પૂર્ણ થાય નહીં, પરિણામે શહેરના વિકાસમાં વિક્ષેપ પડે. ત્યારે કોન્ટ્રાક્ટરને સ્પષ્ટ સંકેત આપવા કે ધીમી કામગીરી ચલાવી લેવાશે નહીં માટે આ કામ પરત કરવામાં આ‌વ્યું છે. - દેવાંગ દાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:00 am

તસ્કરોએ હાથફેરો કર્યો:ડુંગરપુરમાં બંધ મકાનમાંથી 1.03 લાખના દાગીનાની ચોરી

જૂનાગઢ તાલુકાનાં ડુંગરપુરમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના સહિત રૂપિયા 1,03,000ની મત્તાની ચોરી કરી નાસી ગયા હતા. પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની મળતી વિગત મુજબ જુનાગઢ તાલુકાના ડુંગરપુર ગામના સુભાષનગર વિસ્તારમાં રહેતા કલ્પેશભાઈ મગનભાઈ પરમારના પુત્ર રાજરત્નની તબિયત લથડતા, સમગ્ર પરિવાર ગત તા. 27 જાન્યુઆરીના રોજ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ગયો હતો. આ દરમિયાન મકાન બંધ હતું. જ્યારે પરિવાર તા. 30 જાન્યુઆરીના રોજ ઘરે પરત ફર્યો, ત્યારે મકાનના આગળના દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. ​ તપાસ કરતા માલૂમ પડ્યું કે તસ્કરોએ કબાટની તિજોરી તોડી તેમાંથી 92,000ના સોનાના અને 11,000ની કિંમતના ચાંદીના દાગીના ઉપરાંત બાઈકની ચાવી ચોરી કરી હોવાનું માલુમ પડ્યું હતું. કલ્પેશભાઈએ ગુરુવારે ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:00 am

અકસ્માત સર્જાયો:અક્સ્માતમાં સસરા, જમાઈ ઇજાગ્રસ્ત

મેંદરડા પાસે રિક્ષા, કાર વચ્ચે અક્સ્માત સર્જાતા જૂનાગઢ રહેતા સસરા, જમાઈ ઇજાગ્રસ્ત થયા હતા. શહેરમાં વણજારી ચોક ગરબીચોક પાસે આવેલ રાજભવન એપાર્ટમેન્ટમાં રહેતા 52 વર્ષીય નવરંગભાઇ દયાળભાઇ જેઠવા અને તેના બેલદાર શેરીમાં રહેતા 35 વર્ષીય જમાઈ પિયુષભાઈ ઈશ્વરભાઈ ચાવડા જીજે 19 ડબલ્યુબી 2452 નંબરની રિક્ષામાં સેક્શન બારીનો માલ ભરીને જૂનાગઢથી ડોળાસા જતા હતા. ત્યારે પહેલા જૂનાગઢ તરફ 8 કિલોમીટર દૂર સામેથી રોંગ સાઈડમાં પૂરઝડપે આવી રહેલી જીજે 11 સીડી 3040 નંબરની કારના ચાલકે રિક્ષાને ટક્કર મારી હતી. જેના કારણે સસરા, જમાઈને ઇજા થતા 108 એમ્બ્યુલન્સ મારફત જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:00 am

પરિણીતાને સારવારમાં ખસેડાઈ:નશામાં ધુત પતિએ પત્નીનું માથું દીવાલમાં ભટકાવ્યું, ધમકી દીધી

મેંદરડા તાલુકાના ઈટાળી ગામે રહેતા 42 વર્ષીય આંગણવાડી હેલ્પર શોભનાબેન પરમારે તેના પતિ મનસુખભાઈ નારણભાઈ પરમાર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાની ફરિયાદ અનુસાર, બુધવારે સાંજે પતિ મનસુખભાઈ દારૂ પીધેલી હાલતમાં ઘરે આવ્યો હતો અને પત્ની તથા દીકરી સાથે ગાળાગાળી કરવા લાગ્યો હતો. જ્યારે શોભનાબેને તેને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઉશ્કેરાયેલા પતિએ તેમને પકડીને તેમનું માથું જોરથી દીવાલમાં ભટકાવ્યું હતું અને નીચે પાડી દઈ માર માર્યો હતો. આ હુમલા દરમિયાન સાસુ દુધીબેનએ વચ્ચે પડી શોભનાબેનનો જીવ બચાવ્યો હતો. ​પીડિતાએ જણાવ્યું કે, તેમના લગ્નજીવનના 19 વર્ષ દરમિયાન પતિ વારંવાર ચારિત્ર્ય પર શંકા કરી શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો. ઇજાગ્રસ્ત પરિણીતાને 108 મારફતે મેંદરડા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે ફરિયાદ આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:00 am

લૂંટરી દુલ્હનએ કરી છેતરપિંડી:લગ્નના બહાને 3.52 લાખની છેતરપિંડી, લૂંટરી દુલ્હન ફરાર

ખંભાળીયાના એક યુવક સાથે લગ્નના બહાને 3.52 લાખની છેતરપિંડી આચરી લૂંટરી દુલ્હન ફરાર થઈ જતા યુવતી સહિત 4 સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી. ભેસાણ તાલુકાના ખંભાળીયા ગામે રહેતા 31 વર્ષીય વિજયભાઈ મનસુખભાઈ કોરાટની ફરિયાદ અનુસાર યુવકે અઢી વર્ષ પહેલા તેના સુરત રહેતા બનેવી દિવ્યેશભાઈ ઢાકેચાને સુરતમાં મહેશ પાટીદાર મળ્યો હતો અને તેને સાળા વિજયના લગ્ન થયેલું ના હોય તેથી કોઈ છોકરી ધ્યાનમાં હોય તો બતાવવાની વાતચીત થઈ હતી. જેથી મહેશ પાટીદારે સુરતના ઉધના વિસ્તારમાં આવેલ શિવ શક્તિ રેસીડેન્સીમાં રહેતી મોનિકા મૂળે નામની યુવતી બતાવી હતી. યુવતી પસંદ આવતા લગ્ન નક્કી કરવા માટે મોનિકાના પરિવારે અઢી લાખ રૂપિયાની માંગણી કરી હતી. જૂન 2023માં સુરતના ગાયત્રી મંદિર ખાતે લગ્ન સંપન્ન થયા હતા. લગ્ન દરમિયાન અને ત્યારબાદ વિજયભાઇના પિતાએ મહેશને દલાલીના 20,000 સહિત રૂપિયા 3,20,000ની રોકડ અને પેન્ડલ સેટ સહિત કુલ 3,52,500 આપ્યા હતા. પરંતુ લગ્નના 8 દિવસ બાદ મોનિકા તેના પિયર સુરત ગઈ હતી. જેના એક માસ પછી યુવાન તેને તેડવા ગયો ત્યારે સુરત ખાતે લગ્નની નોંધણી કરાવી યુવતીને ઘરે લાવ્યો હતો. 15 દિવસ રોકાઈ મોનિકા સુરત તેની માતા ઘરે જતી રહી હતી. બાદમાં મોનિકા પરત નહી આવતા આખરે બુધવારે વિજયભાઈએ ફરિયાદ કરતા ભેસાણ પોલીસે મોનિકા મુળે, તેની માતા કમલાબેન મુળે, ભાઈ સુરજ મુળે અને દલાલ મહેશ પાટીદાર વિરુદ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાતનો ગુનો નોંધી ''''લૂંટરી દુલ્હન'''' અને તેની ટોળકીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:00 am

સગીરાનું કરુણ મૃત્યુ થયું:ઝેરી દવા પી લેતા સગીરાનું મોત

કેશોદ પંથકમાં ઝેરી દવા પી લેતા પરપ્રાંતીય સગીરાનું મોત નિપજ્યું હતું. કેશોદ તાલુકાના અજાબ ગામે રહેતા મૂળ મહારાષ્ટ્રના નંદુબાર જિલ્લાના મડકાની ગામના રીનાબેન વામન કલા ઠાકરે ઉ.વ. 17 નામની સગીરાએ મંગળવારે વહેલી સવારે ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન મૃત્યુ થતા પરપ્રાંતીય પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. સગીરાના આપઘાત પાછળનું કારણ બહાર નહીં આવતા પોલીસે મૃતકના પિતા વામન કલા ઠાકરેનું નિવેદન લઈ આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:00 am

વિતરણ:મેળામાં આદિત્ય ફાઉન્ડેશન દ્વારા શ્રદ્ધાળુઓને નિ:શુલ્ક છાશ વિતરણ

ગિરનારની તળેટીમાં આયોજિત પરંપરાગત મહા શિવરાત્રિનો મેળો હાલમાં પૂર્ણ જોશમાં ખીલ્યો છે. ભક્તિ અને આસ્થાના આ મહાકુંભમાં લાખોની સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓ જ્યારે આકરા તાપમાં પગપાળા યાત્રા કરી રહ્યા છે, ત્યારે આદિત્ય ફાઉન્ડેશન-જૂનાગઢ દ્વારા સેવા પૂરી પાડવામાં આવી રહી છે. સંસ્થાના અગ્રણી ભરતભાઈ બોરીચા અને હિરેનભાઈના નેતૃત્વમાં ગિરનાર દરવાજા પાસે નિ:શુલ્ક છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. દરરોજ સવારે 10:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી ચાલતા આ સેવા યજ્ઞમાં બપોરના તાપમાં હજારો શ્રદ્ધાળુઓ ઠંડી અને શુદ્ધ છાશ પીને પોતાની તૃષા છીપાવી રહ્યા છે. ભરતભાઈ બોરીચાએ જણાવ્યું કે, મહાદેવના શરણમાં આવતા ભક્તોની સેવા કરવી એ જ અમારું લક્ષ્ય છે. આદિત્ય ફાઉન્ડેશન દર વર્ષે મેળા દરમિયાન છાશ અને પાણીના વિતરણ જેવી પ્રવૃત્તિઓ કરે છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:00 am

કેન્સર કેમ્પ યોજાયો:કેન્સર કેમ્પમાં તપાસ કરાવેલ 257માંથી 206 લોકો તમાકુના વ્યસની

સિવિલ હોસ્પિટલ જૂનાગઢના કાન, નાક અને ગળા (ENT) વિભાગ દ્વારા ઓપીડી રૂમ ખાતે મોઢા તથા ગળાના કેન્સરના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 257 નાગરિકોએ તપાસ કરાવી હતી, જેમાં 175 પુરુષો અને 52 મહિલાઓનો સમાવેશ થાય છે. કેન્સર સર્જન ડો. સ્વપ્નિલ વનપરીયા અને ENT વિભાગના વડા ડો. રવિ મકવાણા દ્વારા દર્દીઓનું નિદાન અને કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી કે 206 વ્યક્તિઓ તમાકુના વ્યસની હતા, જેમાંથી 50 લોકોમાં ઓરલ સબમ્યુકોઝલ ફાઇબ્રોસીસ'(મોઢું ઓછું ખુલવું) ના લક્ષણો જણાયા હતા. 4 વ્યક્તિઓની દૂરબીનથી તપાસ કરી 2 ની બાયોપ્સી લેવામાં આવી હતી. તબીબોએ જણાવ્યું કે વહેલા નિદાનથી કેન્સરની સંપૂર્ણ સારવાર શક્ય છે અને સિવિલ હોસ્પિટલ ખાતે આ તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. આ કેમ્પમાં ડો. વત્સલ ગોંડલીયા, ડો. રેખા અને નર્સિંગ ઇન્ચાર્જ નીતિન ઉપાધ્યાયે સેવા આપી હતી.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:00 am

14 વર્ષીય કિશોરીનું કાઉન્સિલિંગ‎ કરાયું:મધ્યરાત્રિએ ઘરેથી નીકળેલી દીકરીનું‎ 181ની ટીમે પિતા સાથે મિલન કરાવ્યું‎

શહેરના એસ.ટી. બસ સ્ટેન્ડ પર મધ્યરાત્રિએ એક સગીર યુવક અને યુવતી શંકાસ્પદ હાલતમાં મળી આવતા સતર્ક અધિકારીએ તુરંત 181 અભયમ મહિલા હેલ્પલાઇનને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા સમજી કાઉન્સેલર અરુણા કોલડિયા, મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઉજાલાબેન અને પાયલોટ અલ્પેશભાઈ તુરંત સ્થળ પર પહોંચ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, 14 વર્ષીય સગીરા છેલ્લા છ મહિનાથી એક સગીર યુવકના પ્રેમમાં હતી. આ સંબંધની જાણ પરિવારને થતાં માતા-પિતાએ ઠપકો આપ્યો હતો, જેનાથી ડરીને બંને કિશોરો મધ્યરાત્રિએ પરિવારની જાણ બહાર ઘરેથી નીકળી ગયા હતા. અભયમ ટીમે સગીરાને માનસિક ટેકો આપી ધીરજપૂર્વક કાઉન્સિલિંગ કર્યું હતું. તેમને કાયદાકીય જોગવાઈઓ અને ઉજ્જવળ ભવિષ્યનું મહત્વ સમજાવતા સગીરાએ પોતાની ભૂલ સ્વીકારી ઘરે જવા સંમતિ દર્શાવી હતી. ત્યારબાદ પરિવારનો સંપર્ક કરી તેમને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. પરિવારે પોતાની દીકરીને સહી-સલામત પરત મેળવતા 181 ટીમનો આભાર માન્યો હતો. આ કિસ્સો તમામ વાલીઓ માટે પોતાના સંતાનો પ્રત્યે વધુ સતર્ક અને સંવેદનશીલ રહેવા માટે ઉદાહરણ પૂરું પાડે છે

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:00 am

દિવ્યાંગ ભાવિકો માટે ખાસ સેવા:તંત્ર દ્વારા દિવ્યાંગો અને વૃદ્ધો માટે 50 રિક્ષાઓની ફ્રી સેવા

ગિરનારની ગોદમાં યોજાતા પરંપરાગત મહાશિવરાત્રીના મેળામાં આ વર્ષે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સિનિયર સિટીઝન અને દિવ્યાંગો માટે પરિવહન સુવિધા ઉભી કરવામાં આવી છે. અશક્ત અને વૃદ્ધ ભાવિકો મેળાનો આનંદ સરળતાથી લઈ શકે તે માટે વાઘેશ્વરી મંદિર અને પાંજરાપોળ જેવા પાર્કિંગ સ્થળોથી ભવનાથ તળેટી સુધી 50 રિક્ષાઓ કાર્યરત કરવામાં આવી છે. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સૈયદ વસીમના જણાવ્યા અનુસાર, આ નિ:શુલ્ક સેવા દ્વારા શ્રદ્ધાળુઓને પાર્કિંગથી જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સુધી લાવવા-લઈ જવાની વ્યવસ્થા કરાઈ છે. ઠેર ઠેરથી આવેલા ભાવિકોએ આ આયોજનને આશીર્વાદરૂપ ગણાવી તંત્રનો આભાર માન્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:00 am

વેધર રિપોર્ટ:ફરી ગરમીમાં વધારો, મહતમ તાપમાન વધીને 32.6 ડિગ્રી નોંધાયું

ગુરુવારે જૂનાગઢ સહિત સોરઠમાં ગરમીમાં વધારો થતા મહત્તમ તાપમાનનો પારો ઉપર ચડીને 32.6 ડિગ્રીએ પહોંચી જતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. 24 કલાક બાદ ગુરુવારની સવારે જૂનાગઢનું લઘુતમ તાપમાન આંશિક રીતે ઘટીને 14.8 ડિગ્રી નોંધાયું હતું. ગુલાબી ઠંડી વધવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને 67 ટકા થઈ ગયું હતું. સવારથી પવન પ્રતિ કલાકની 5.8 કિલોમીટરની ઝડપે ફૂંકાયો હતો. જેના પગલે બુધવાર ની સરખામણીએ મહત્તમ તાપમાનનો પારો 2 ડિગ્રી ઉપર ચડીને 32.6 ડિગ્રીએ સ્થિર થતા જૂનાગઢ સહિત સોરઠમાં ગરમીનું પ્રમાણ વધ્યું હતું. આકાશમાંથી અગ્નિવર્ષા શરૂ રહેતા બપોરની હવામાં ભેજનું પ્રમાણ ઘટીને 25 ટકા થઈ જતા તાપ વધુ આકરો થયો હતો. વધુ આગામી દિવસોમાં ગરમીનો પારો 36 ડિગ્રી ઉપર રહેવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:00 am

ભવનાથના શૌચાલયમાં મહિલાએ બાળકને જન્મ આપ્યો:મેળામાં મહિલાએ 1 કિલો 700 ગ્રામના બાળકને જન્મ આપ્યો

શિવરાત્રિના મેળામાં ગુરૂવારે સાંજે 7:40 કલાકે રાજકોટની મહિલાએ બાળકને જન્મ આપ્યો છે. 108 મારફત તાત્કાલિક સિવિલમાં ખસેડવામાં આવી હતી. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટે શિવરાત્રિના મેળામાં ગુરૂવારે સાંજે 7:40 આસપાસ ભવનાથના શૌચાલયમાં એક રાજકોટની મહિલાએ બાળકને જન્મ આપ્યો છે. 108ને જાણ થતા જ તુરંત ભવનાથથી બાળક અને મહિલાને સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. મહિલાને અડધા મહિને નોર્મલ ડિલવરી થઇ છે. બાળકનુ વજન 1 કિલોને 700 ગ્રામનુ છે. હાલ બાળક સિવિલના નવજાત આઇસીયુમાં રાખેલ છે અને મહિલાની હાલત સ્વસ્થ છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:00 am

પ્રજાના પૈસાનું પાણી કરાયું:જે રસ્તા પર 21 દિ' પહેલા પેચવર્ક થયુ તે ફરી ખોદી નવો બનાવાશે

જૂનાગઢમાં તંત્ર અને વોર્ડના કોર્પોરેટરો વચ્ચે સંકલનનો અભાવથી મનફાવે તેમ પ્રજાના પૈસાનુ પાણી થઇ રહ્યુ છે. જોષીપુરા વિસ્તારમાં પટેલ સમાજથી શાંતેશ્વર મંદિર સુધીના રસ્તામાં પાણી અને ગટરની લાઇન નાખવામાં માટે અગાઉ ખોદકામ કરાયુ હતુ. એ જ કામગીરી પૂર્ણ થયા બાદ અહીંના કોર્પોરેટરો દ્વારા પેચવર્ક કરી દેવાયુ હતુ. પરંતુ પેચવર્ક કર્યાને 21 દિવસ બાદ એટલે કે તારીખ 12 ફેબ્રુઆરીને ગુરૂવારે પટેલ સમાજથી બાયપાસને જોડતો માર્ગ 8 થી 10 કરોડના ખર્ચે બનનાર છે તેનુ ખાતમૂર્હુત કરવામાં આવ્યુ હતુ. ઉલેખનીય બાબત એ છે જે રોડને 21 દિવસ બાદ નવો જ બનાવવાનો હતો તો અગાઉ પેચવર્ક કરીને પ્રજાના પૈસાનુ પાણી શું કામ કર્યુ, કોર્પોરેટર અને તંત્ર વચ્ચે સંકલનના અભાવે લોકોના ટેક્ષના પૈસાનો વેડફાટ થઇ રહ્યો છે. નગરસેવિકાના પુત્ર, સાથી કોર્પોરેટરને મિડીયામાં ફોટો મુકી હિરો થવાની ઘેલછાવોર્ડ નંબર 6 ના નગરસેવિકાના પુત્ર કેવિન અકબરી સાથી કોર્પોરેટર પ્રવિણ વાઘેલા સાથે 22 જાન્યુઆરીના રોજ લોકોને અગવડતા ન પડે તે માટે પટેલ સમાજથી શાંતેશ્વર મંદિર સુધીના રોડ પર પેચવર્ક કરવામાં આવ્યુ એની પોસ્ટ મુકી હતી. બાદમાં તારીખ 12 ફેબ્રુઆરીના રોજ આ જ રસ્તો 8 થી 10 કરોડના ખર્ચે નવો બનશે તેનુ ખાતમૂર્હુત કરાયુ તેની પોસ્ટ મુકી છે. એટલે કે કોર્પોરેટરના પુત્ર અને તંત્ર વચ્ચેના સંકલનના અભાવે પ્રજાના પૈસાનુ પાણી થઇ રહ્યુ છે. જો રોડ 21 દિવસ પછી નવો જ બનાવવાનો હતો તો અગાઉ ખર્ચ કરીને પેચવર્ક શું કામ કરાવ્યુ, શું કોર્પોરેટરોને સોશ્યલ મિડીયામાં ફોટા મુકીને હિરો બનવાની ઘેલછા તો નથી ને ?, શું કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ રાતોરાત જ મંજૂર થયો સહિતના પ્રશ્નો ચર્ચાય રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:00 am

ભાસ્કર ઇમ્પેક્ટ‎:ભાસ્કરના અહેવાલ પછી ધૂણાઓમાં પાણી જતુ અટક્યુ, કારપેટ પથરાઇ

શિવરાત્રિના મેળાનો 11 ફેબ્રુઆરીથી પ્રારંભ થઇ ગયો છે. મેળાની અગાઉ જ દેશભરમાંથી સાધુઓ ભવનાથમાં પહોંચી ધૂણા ધખાવીને શિવજીની આરાધનામાં લીન બન્યા હતા. આ વર્ષે દત્તચોક પાસે તંત્ર દ્વારા જ સાધુઓને ધૂણા બનાવી દેવામાં આવ્યા હતા. આ ધૂણાઓમાં મેળાના પ્રથમ દિવસે જ પાણીની લાઇન લીક થઇ જતા પાણી ઘૂસી ગયુ હતુ. જેને કારણે સાધુઓના ધૂણાઓ પલડી ગયા હતા. નાગા સાધુઓએ પાણીમાં બેસીને તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. ઉપરાંત તંત્રએ જમવાની તો ઠીક પાણીની પણ અમારા માટે વ્યવસ્થા કરી નથી એવો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર બાબતને લઇ ભાસ્કરે સચિત્ર અહેવાલા પ્રસિદ્ધ કર્યો હતો. અહેવાલ બાદ તુરંત તંત્ર હરકતમાં આવ્યુ હતુ અને ધૂણા ધખાવીને બેસેલા સાધુઓને ચાલવામાં તેમજ અન્ય કોઇપણ રીતે મુશ્કેલી ન પડે તે માટે કારપેટ પાથરી દેવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:00 am

દેશભરમાંથી માતાઓ કિન્નર અખાડામાં આવ્યા‎:આખું વર્ષ દુનિયા અમને ખવડાવે, આ 7 દિવસ અમે જનતાને જમાડીએ '

ગરવા ગિરનારની તળેટીમાં શિવરાત્રિના મેળાનો રંગ જામ્યો છે. આ મેળામાં આકર્ષણનું કેન્દ્ર બનેલા કિન્નર અખાડાના અધ્યક્ષ ગિરનારી માતાએ શ્રદ્ધાળુઓ સાથે હૃદયસ્પર્શી સંવાદ કર્યો હતો. સાધુ-સંતોએ અમને જે માન આપ્યું છે તે અમારા માટે સૌભાગ્યની વાત છે. અહીં અમને 'અર્ધનારીશ્વર' ના રૂપમાં આદર મળે છે. આખું વર્ષ સમાજ અમને આપે છે અને અમારું ભરણપોષણ કરે છે, પરંતુ મેળાના આ 7 દિવસ અમે અન્નક્ષેત્ર ચલાવીને લોકોને પ્રેમથી જમાડીએ છીએ. રાત્રિના સમયે અહીં ભજનની ભારે જમાવટ થાય છે, જેમાં હજારોની મેદની કિન્નરોના આશીર્વાદ લેવા અને ભક્તિમાં લીન થવા ઉમટી પડે છે. માતા-પિતાની સેવા એ જ સાચી ભક્તિ ગિરનારી માતાએ યુવા પેઢીને સંદેશ આપતા કહ્યું કે, અમે નસીબદાર નથી કે અમારા માતા-પિતાની સેવા કરી શકીએ, પણ તમે લોકો ચોક્કસ કરજો. જો તમે તમારા મા-બાપને સાચવશો તો જ માતાજી તમારા પર પ્રસન્ન થશે. માતા-પિતાનું સન્માન એ દુનિયાનું સૌથી મોટું પુણ્ય છે. > ગિરનારી માતા(સ્વીટુ મા), કિન્નર અખાડા. જાણો... કિન્નર અખાડાનું મહત્વ ?‎વર્ષો સુધી ઉપેક્ષિત રહેલા કિન્નર સમાજને આ અખાડા દ્વારા ધાર્મિક‎માન્યતા અને સન્માન મળ્યું છે, ભગવાન શિવના ''અર્ધનારીશ્વર''‎સ્વરૂપના તેઓ પ્રતીક ગણાય છે, એવી માન્યતા છે કે કિન્નર સંતોના‎ આશીર્વાદ ફળદાયી હોય છે, તેથી શ્રદ્ધાળુઓ તેમના દર્શન માટે‎ ઉમટી પડે છે.‎

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:00 am

વિવાદ:નબળી કામગીરી હોવા છતાં સરખેજ ઓકાફ તળાવનો કોન્ટ્રાક્ટ અપાશે

સરખેજમાં આવેલા ઓકાફ તફાવ ખાતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવી પાણી શુદ્ધ કરી તેનાથી તળાવ ભરવાની યોજના માટે મ્યુનિ. દ્વારા 10 વર્ષ માટે 32.56 કરોડનો કોન્ટ્રાક્ટ રાજમલ બિલ્ડર્સ ઈન્ફ્રાને અપાયો છે. આ કોન્ટ્રાક્ટરે ગાંધીઆશ્રમ પાસે જલવિહાર એસટીપી પ્લાન્ટમાં એનજીટીના નિયમ પ્રમાણે પાણીમાં શુદ્ધતા લાવી શકાઇ ન હતી. જોકે તેમ છતાં ફરીથી આ કોન્ટ્રાક્ટરને કામ અપાતા વિવાદ ઊભો થયો છે. સરખેજમાં આવેલા ઓકાફ લેક ખાતે 5 એમએલડીનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે ટેન્ડર મગાવાયા હતા. આ કામ રાજમકલ બિલ્ડર ઈન્ફ્રા.ને સોંપવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત રજૂ થઈ હતી. જે દરખાસ્તમાં 23.38 કરોડ એસટીપી બનાવવા તેમજ 9.17 કરોડ એસટીપીને 10 વર્ષ માટે ચલાવવાની રકમ મળી રૂ. 32.56 કરોડમાં કામની દરખાસ્ત હતી.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:00 am

શિક્ષકોમાં અસંતોષ:સરકાર હવે શિક્ષકો પાસે રખડતાં કૂતરાં પણ ગણાવશે

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ હસ્તકની કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા શિક્ષકોને માટે શ્વાનોની ગણતરી કરવાની કામગીરી કરવાનો આદેશ અપાતા શિક્ષકોમાં ભારોભાર અસંતોષ ફેલાયો હોવાનો આક્ષેપ કોંગ્રેસ પક્ષે કર્યો છે. કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ શ્વાનની ગણતરીની કામગીરીનો પરીપત્ર રદ કરીને અન્ય વ્યવસ્થા તાત્કાલિક ઊભી કરવાની સરકાર સમક્ષ માંગણી કરી છે. તેમનું કહેવુ છે કે, ગુજરાતમાં ઘણાં બધા સમયથી શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાયની બીજી કામગીરી કરાવવામાં આવી રહી છે.જેમાં શૌચાલયની ગણતરી, ભીડ ભેગી કરવી, ચૂંટણીલક્ષી કામગીરી, એસઆઈઆરની કામગીરીનો સમાવેશ થાય છે. શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાયની 60થી વધુ કામગીરી કરાવાય છે, જેના લીધે શિક્ષકો પર કામનું ભારણ વધી રહ્યું છે અને શિક્ષક સમુદાય માનસિક રીતે તણાવ અનુભવી રહ્યો છે. ગુજરાતમાં સ્કૂલોમાં 40 હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે, 3000 જેટલી શાળાઓ તો માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:00 am

વાતાવરણ:ઠંડીનો પારો ઉંચકાયો, તાપમાન 17 ડિગ્રી થયું

જામનગરમાં ઠંડીમાં થતી વધ-ઘટની સાથે-સાથે તાપમાનમાં પણ વધારો ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે ગુરૂવારે લઘુત્તમ તાપમાનનો પારો 17 ડિગ્રી નોંધાયું છે, સવાર-સાંજ ઠંડી અને બપોરના ગરમીના કારણે મિશ્રઋતુનો માહોલ સર્જાયો છે. મિશ્રઋતુના કારણે તાવ, શરદી અને ઉધરસના કેસમાં પણ વધારો થયો છે. શિયાળાની વિદાય વચ્ચે જામનગરમાં ધીમે ધીમે ઉનાળાનું આગમન થઈ રહ્યું હોય તેમ મિશ્રઋતુનો માહોલ સર્જાયો છે. રાત્રિના ઠંડી અનુભવાય છે તો બપોરના સમયે ગરમીનો લોકોને અહેસાસ થાય છે. ત્યારે ગરૂવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે મહત્તમ તાપમાન 30.5 ડિગ્રીએ અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 82 ટકાએ સ્થિર રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ 25 થી 30 કિ.મી.ની રહેવા પામી હતી. બેવડી ઋતુના પગલે રોગચાળામાં વધારો થયો છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:00 am

4 ઓપીડી કાર્યરત:ધરારનગરમાં પીવાના પાણીની લાઈનમાં ત્રણ અને 2 વાલ્વ લીકેજ, 11 ગેરકાયદે જોડાણ કટ

જામનગર શહેરના ધરારનગર-1માં ગટરના પાણી મિશ્રિત પીવાનું પાણી વિતરણ કરાતા ઝાડા-ઉલ્ટીના કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે, વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરાયા બાદ 4 કામચલાઉ ઓપીડી કાર્યરત કરીને 429 દર્દીઓને તપાસ કરતા 105 ઝાડા-ઉલટીના કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. સર્વેની ટીમોમાં વધારો કરીને 41 ટીમોએ હાઉસ-ટુ-હાઉસ 9113 ઘરોનો સર્વે કરીને 1,30,775 ક્લોરીન ટેબ્લેટસ અને 3,046 ઓઆરએસના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરના ધરારનગર-1 વિસ્તારમાં ગત તા.8 ફેબ્રુઆરીના ઝાડા-ઉલટીના કેસ સામે આવતા મ્યુ.તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. મ્યુ.કમિનશનર ડી.એન.મોદીની સૂચનાથી આરોગ્ય, વોટર વકર્સ, ડ્રેનેજ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ચાર વિભાગોની સંયુક્ત ટીમો દ્વારા સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં આરોગ્ય વિભાગની વિસ્તારમાં 27 સર્વે ટીમો દ્વારા શરૂ કરાયેલ હાઉસ-ટુ-હાઉસ તપાસ વધારીને 41 ટીમો કરવામાં આવી છે, અત્યાર સુધીમાં 9,113 ઘરોનો સર્વે કરીને 1,30,775 ક્લોરીન ટેબ્લેટ્સ અને 3,046 ઓઆરએસ પેકેટનું વિતરણ કરાયું છે. તેમજ વિસ્તારમાં 4 કામચલાઉ ઓપીડી કાર્યરત કરીને 429 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 105 ઝાડા-ઉલટીના દર્દીઓને સ્થળ પર જ સારવાર આપવામાં આવી છે. હાલ 39 દર્દીઓ દાખલ છે, જેમાંથી 20 કોલેરા પોઝિટીવ છે અને 26 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ ઉપરાંત વોટર વર્ક્સ વિભાગ દ્વારા પાઈપલાઈનમાં 3 લીકેજ અને 2 વાલ્વ લીકેજનું સમારકામ કરવામાં આવ્યું છે. તેમજ ડ્રેનેજ ચેમ્બરમાંથી પસાર થતા 11 ગેરકાયદે પાણીના જોડાણો શોધીને તાત્કાલિક કાપી નાંખવામાં આવ્યા છે. સમગ્ર લાઈનને 5 ppm ક્લોરીન યુક્ત પાણીથી સાફ કર્યા બાદ નળ વાટે પાણી પુરવઠો ફરી શરૂ કરાયો છે અને ક્લોરીનેશનનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ વિસ્તારમાં સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા 50 સફાઇ કામદારોને ટીમ સાથે દરરોજ 1000 કિલો જંતુનાશક પાવડરનું ડસ્ટિંગ અને સફાઇ કરવામાં આવી રહી છે. આઈસ ગોલા-પાણીપુરી વિક્રેતા પર પ્રતિબંધજામ્યુકોના ફૂડ વિભાગ દ્વારા કોલેરાના રોગચાળાને ધ્યાનમાં રાખીને ધરારનગર-1 વિસ્તારમાં પાણીપુરી અને આઈસ ગોલા જેવા જોખમી વિક્રેતાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આઈસ ફેક્ટરી અને આર.ઓ.પ્લાન્ટના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:00 am

તંત્ર હરકતમાં:જામનગરમાં 157 જેટલા કિયોસ્ક બોર્ડ જપ્ત કરાયા

જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ દ્વારા શહેરમાં આડેધડ મંજુરી લીધા વગર જાહેરાતના બિયોસ્ક બોર્ડ, બેનરો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં 157 જેટલા કિયોસ્ક બોર્ડ ઉતારીને જપ્ત કરવામાં આવ્યા છે. શહેરમાં ધંધાર્થીઓ દ્વારા જાહેર માર્ગ પર મહાનગરપાલિકાની મિલકતોમાં આડેધડ મુકાયેલા જાહેરાતના બોર્ડ અને બેનરોને જપ્ત કરવાની જામ્યુકોની દબાણ હટાવ શાખાએ કામગીરી હાથ ધરી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી શહેરના રણજીતસાગર રોડ, એસ.ટી.ડેપો રોડ, ખંભાળિયા નાકાના બહારના રોડ, તેમજ લાલ બંગલાથી ટાઉન હોલ, સાત રસ્તા સુધીના જુદા જુદા વિસ્તારોમાં ગેરકાયદે જાહેરાતના બોર્ડ, બેનરો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં આજે રણજીતસાગર રોડ પર કામગીરી હાથ ધરીને અંદાજે 48 જેટલા કિયોસ્ક બોર્ડ, બેનરો જપ્ત કરવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણેક દિવસમાં 157 જેટલા બોર્ડ અને બેનરો દુર કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:00 am

સેફર ઇન્ટરનેટ ડેની ઉજવણી:સાયબર ફ્રોડ અને સુરક્ષિત ડિજિટલ વ્યવહારોનું માર્ગદર્શન, કોઈપણ સંજોગોમાં ઓટીપી શેર ન કરવો

ટેકનોલોજીના યુગમાં ડિજિટલ યુગમાં ઇન્ટરનેટના વધતા વ્યાપની સાથે સાયબર સુરક્ષા અનિવાર્ય બની ગઈ છે. ત્યારે સેફર ઇન્ટરનેટ ડે નિમિત્તે આઈ.ટી.આઈ. જામનગર ખાતે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજીને તાલીમાર્થીઓને આધુનિક સાયબર જોખમો વિશે માહિતગાર કરાયા હતા. ઈન્ટરનેટના માધ્યમથી સાવચેતી રાખવાની સામુહિક પ્રતિજ્ઞા લીધી હતી. આઈટી (IT) ક્ષેત્રના નિષ્ણાતોએ વક્તા તરીકે ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને આધુનિક સાયબર જોખમો વિશે માહિતગાર કર્યા હતા. સેમિનારમાં ખાસ કરીને મજબૂત પાસવર્ડ રાખવાનું મહત્વ, સોશિયલ મીડિયા અને બેંકિંગ વ્યવહારોમાં ટુ-સ્ટેપ વેરિફિકેશનનો ઉપયોગ તેમજ અજાણી લિંક્સ અને ફેક ન્યૂઝથી બચવા માટેની પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી. નિષ્ણાતોએ તાકીદ કરી હતી કે કોઈપણ સંજોગોમાં ઓટીપી (OTP) અન્ય વ્યક્તિ સાથે શેર ન કરવો જોઈએ.​આ ઉપરાંત, જો કોઈ વ્યક્તિ સાયબર ગુનાનો ભોગ બને, તો ત્વરિત મદદ મેળવવા માટે સાયબર હેલ્પલાઇન નંબર 1930 અને ઓનલાઇન સાયબર ક્રાઈમ પોર્ટલનો ઉપયોગ કેવી રીતે કરવો તેની પ્રાયોગિક માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમમાં આઈ.ટી.આઈ. જામનગરના આચાર્ય, ફોરમેન ઇન્સ્ટ્રક્ટર તથા મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ અને સ્ટાફગણ જોડાયો હતો. સેમિનારના અંતે તમામ ઉપસ્થિતોએ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની અને ઇન્ટરનેટના માધ્યમથી સાવચેતી રાખવાની સામુહિક પ્રતિજ્ઞા લીધી હતી. નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર ના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આઈટીઆઈના તાલીમાર્થીઓને સાયબર ક્રાઈમ સામે જાગૃત કરવાનો અને તેમને સુરક્ષિત ડિજિટલ વાતાવરણ પૂરું પાડવાનો હતો.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:00 am

હુમલો:બાઈક અથડાવા મુદ્દે યુવક પર લોખંડના પાઈપ વડે હુમલો

વડીયાના લુણીધારમાં બાઈક અથડાવા મુદ્દે યુવક પર લોખંડના પાઈપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા પિતા-પુત્રો સામે ગુનો નોંધાયો હતો. વડીયાના લુણીધારના અશોકભાઈ ધનજીભાઈ સોલંકી (ઉ.વ.37)એ નિખીલ અનીલ દામોદરા, નયન અનીલ દામોદરા અને અનીલ આંબાભાઇ દામોદરા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેનો ભત્રીજો કૌશીક સ્કુલેથી ઘરે આવતો હતો. તે દરમિયાન નિખીલ દામોદરાએ પોતાનુ બાઈક કૌશીક સાથે ભટકાવી દીધું હતું. ત્યારબાદ અપશબ્દો કહ્યા હતા. તેમજ થોડા સમય પછી ત્રણેય પિતા-પુત્ર તેના ઘરે ધસી આવ્યા હતા. અહીં કૌશીક ક્યા છે. તેમ કહી અશોકભાઈ સોલંકી અને અન્ય એક મહિલાને નિખીલ દામોદરાએ લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. તેમજ ત્રણેય શખ્સોએ અશોકભાઈ અને તેના ભત્રીજા કૌશિકને મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે વડીયા પોલીસમાં ફરિયાદ નોંધાતા હેડ કોન્સ્ટેબલ ડી.ટી.બળસટીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:00 am

વીજકર્મીઓએ સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો વિરોધ:ખાનગીકરણ પ્રક્રિયા રદ્દ કરવા, વીજળી કર્મીઓ માટે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવા માંગ

અમરેલીમાં વિજ વતુર્ળ કચેરી ખાતે વિજ કર્મચારીઓ અને અધિકારીઓએ સૂત્રોચ્ચાર કરી ખાનગીકરણ અને વીજળી (સુધારા) બિલનો વિરોધ કર્યો હતો. ગુજરાત્ત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિ હેઠળ આ વિરોધ કરવામાં આવ્યો હતો. જૂનાગઢ જીઈબી એન્જીનીયર્સ એસોસીએશનના જનરલ સેક્રેટરી એચ.જી.વઘાસીયાએ જણાવ્યું હતું કે ચેતવણી આપી હતી કે જો સંસદના બજેટ સત્ર દરમિયાન વીજળી (સુધારા) બિલ પસાર કરવાનો કોઈ પ્રયાસ કરવામાં આવશે તો તેની તીવ્ર પ્રતિક્રિયા આવશે. સંકલન સમિતિ હેઠળના બંને 45000 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા ઉગ્ર લડત માટેનો નિર્ણય લેવાની ફરજ પડશે. આ હડતાળ વિજળી ક્ષેત્રના ખાનગીકરણના વિરોધમાં છે. અહીં વિજ કર્મચારીઓએ વિજળી સુધારા બિલ અને પ્રસ્તાવિત રાષ્ટ્રીય વિજળી નીતિ પાછી ખેંચવાની, ખાનગીકરણ પ્રક્રિયા રદ કરવાની અને વિજળી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાની માંગણી કરી હતી. અમરેલીમાં વિજ વતુર્ળ કચેરી ખાતે પણ વિજ વિભાગના કર્મચારીઓએ સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાયો હતો અને વિવિધ માંગણીઓનો ઉકેલ લાવવા માટે માંગણી કરી હતી.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:00 am

પંચાયત ભવનના નવ નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરાયું:લાઠી તાલુકાના ચાવંડ ગામે નવા પંચાયત‎ભવનથી લોકોને પડતી હાડમારી દૂર થશે‎

લાઠી તાલુકાના ચાવંડ ગામે પંચાયત ભવનના નવ નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત સ્થાનિક ઘારાસભ્ય જનક તળાવીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મંગલાચાર અને પૂજનવિધિ સાથે કરવામાં આવી હતી. પંચાયત ભવન ગામના શાસકીય તથા વિકાસલક્ષી કાર્યો માટે એક કેન્દ્રસ્થાન તરીકે કાર્ય કરશે. નવા ભવનમાં ગ્રામજનોને વિવિધ શાસકીય યોજનાઓની માહિતી, અરજીઓની પ્રક્રિયા, બેઠકઓ તેમજ સામાજિક કાર્યક્રમો માટે સુવિધાસભર માહોલ ઉપલબ્ધ થશે. આ અવસરે ઘારાસભ્ય જનક તળાવીયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગામડાંના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. ચાવંડ ગામે પંચાયત ભવનનું નવું નિર્માણ ગામના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. તેમણે વધુમાં ઉમેર્યું કે ગ્રામ વિકાસ, માર્ગ વ્યવસ્થા, પાણી પુરવઠો, સ્વચ્છતા અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. સરપંચે જણાવ્યું હતું કે જૂનું પંચાયત ભવન જગ્યાની અછત અને અપૂરતી સુવિધાઓને કારણે ગ્રામજનો માટે અનુકૂળ ન હતું, જેથી નવું આધુનિક ભવન ગામ માટે રજૂઆત કરાઈ હતી.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:00 am

રમત ગમતમાં ઝળહળતી સિદ્ધિ:વિદ્યાસભાની છાત્રાઓએ હેન્ડબોલ માં રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો

19થી 23 જાન્યુઆરીના રોજ 69મી ઓલ ઇન્ડિયન અંડર-17 બહેનોની નેશનલ કક્ષા હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન સોમનાથ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરના અલગ-અલગ રાજ્યોની શ્રેષ્ઠ શાળાકીય હેન્ડબોલ ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ગજેરા કેમ્પસ –વિદ્યાસભાની DLSS ખેલાડીઓએ ગુજરાત રાજય તરફથી ટીમમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં કટોકટીના મુકાબલા વચ્ચે ગુજરાતની અંડર-17 બહેનોની હેન્ડબોલ ટીમે સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરી ફાઇનલ સુધીનો સફર સફળ બનાવીને સુવર્ણ પદક મેળવી ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. જેમાં આ સંસ્થાના બલદાણીયા હિરલ લાલજીભાઈ, બારૈયા નિધી દિનેશભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા સ્કૂલની DLSS ખેલાડીઓએ આ ગૌરવપૂર્ણ સિદ્ધિમાં અમરેલી જિલ્લા ગજેરા કેમ્પસ–વિદ્યાસભા સ્પોર્ટ્સ સ્કૂલની વિશેષ ભૂમિકા રહી હતી. ગુજરાતની ટીમમાં ગજેરા કેમ્પસના બંને પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી થવી એ સમગ્ર જિલ્લા માટે આનંદ અને ગર્વની બાબત બની છે. નેશનલ કક્ષાએ મેડલ જીતી અમરેલી જિલ્લાનું નામ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ઉજાગર કર્યું છે. આ સિદ્ધિ દ્વારા ફરી એકવાર નેશનલ કક્ષાએ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. આ સફળતા બદલ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખૂંટ, મનસુખભાઈ ધાનાણી તેમજ કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ હેન્ડબોલ ખેલાડી ટીમ, તેમજ કોચ રવિભાઈ નાવડિયા અને ટ્રેનર કમલેશભાઈ ભાલીયા, ભૂમિબેન ડાંગરને અભિનંદન પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:00 am

ધો.10-12ની બોર્ડની પરીક્ષા:જિલ્લામાં સંવેદનશીલ પરીક્ષા કેન્દ્ર પર પોલીસ બંદોબસ્ત ઉપરાંત મેટલ ડિટેક્ટર પણ રખાશે

આગામી તા. 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ દરમિયાન ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓ યોજાનાર છે. આ પરીક્ષાનું સુચારું આયોજન સુનિશ્ચિત કરવા રાજ્ય સ્તરે શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાના અધ્યક્ષ સ્થાને વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મિલિંદ તોરવણે તેમજ બોર્ડના અધ્યક્ષ સહિતના મહાનુભાવોએ વિવિધ જિલ્લાઓની તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરી હતી. રાજ્ય સ્તરની બેઠક બાદ શિક્ષણમંત્રીના માર્ગદર્શન અન્વયે જિલ્લા કક્ષાની પરીક્ષા સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જિલ્લા કલેક્ટરે પરીક્ષાના સુચારું અને નિષ્પક્ષ આયોજન માટે પોલીસ વિભાગ, એસ.ટી. વિભાગ, પીજીવીસીએલ તથા આરોગ્ય વિભાગ સહિત તમામ સંબંધિત વિભાગોને જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. તેમણે ખાસ કરીને સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે મેટલ ડિટેક્ટર સહિતની સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવવા જણાવ્યું હતું. વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી આવન-જાવનમાં કોઈ અગવડતા ન રહે તે માટે વિશેષ એસ.ટી. બસોની ફાળવણી કરવાની પણ સૂચના આપવામાં આવી હતી. સીસીટીવીની વ્યવસ્થા અને કંટ્રોલ રૂમની વ્યવસ્થાઓ અંગે તેમણે દિશાનિર્દેશ આપ્યા હતા. સ્ટ્રોંગરૂમ ખાતે બંદોબસ્ત તેમજ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ તણાવમુક્ત થઈને પરીક્ષા આપે તે માટે પૂરતી તૈયારીઓ ગોઠવવા માટે સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી એમ.બી. ગોહિલે જિલ્લાકક્ષાની વ્યવસ્થાઓ અને જરૂરી તૈયારીઓ અંગે માહિતી આપી હતી.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:00 am

ભાસ્કર એક્સક્લુસિવ:અમરેલીમાં આજથી શિવરાત્રીના મેળા માટે ટ્રાફિકને અનુરૂપ એકસ્ટ્રા શરૂ કરાશે

ભાસ્કર ન્યૂઝ| અમરેલી અમરેલીમાં આવતીકાલથી શિવરાત્રીના મેળાને ધ્યાને રાખીને ટ્રાફિકને અનુરૂપ જૂનાગઢ સુધીનું એકસ્ટ્રા સંચાલન શરૂ કરવામાં આવશે. ધારી અને બગસરા ડેપોમાંથી બે દિવસમાં 8 બસ જૂનાગઢની એકસ્ટ્રા દોડાવવામાં આવી હતી. મીટર ગેજ ટ્રેન બંધ હોવાથી એસટી બસમાં પણ ટ્રાફિક વધ્યો છે. જૂનાગઢમાં 15મી તારીખ સુધી શિવરત્રીનો મેળો ચાલી રહ્યો છે. અમરેલી જિલ્લામાંથી પણ લોકો મેળામાં જઈ રહ્યા છે. ખાનગી વાહનોની સાથે સાથે એસટી બસમાં પણ મુસાફરો વધ્યા છે. અમરેલી એસટી ડીવીઝનના વિભાગીય નિયામક ભાવેશભાઈ પટેલે જણાવ્યું હતું કે શિવરાત્રીના મેળાને ધ્યાને રાખીને 11મીએ બગસરામાંથી 1, ધારીમાંથી 2 અને કોડીનારમાંથી 1 એકસ્ટ્રા બસ જૂનાગઢ શરૂ કરવામાં આવી હતી. જ્યારે આજે ધારીમાંથી 2 અને બગસરામાંથી 2 બસ જૂનાગઢની એકસ્ટ્રા સંચાલન શરૂ કરવામાં આવ્યું હતું. તેમજ આવતીકાલથી અમરેલી એસટી ડેપોમાંથી મુસાફરોને ધ્યાને રાખીને એકસ્ટ્રા સંચાલન શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત શિવરાત્રીના મેળાને પગલે મુસાફરોમાં વધારો થયો હતો.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:00 am

ઠગાઇ:બગસરામાં કાર બહાર વેચી મારી આધેડ સાથે 5.50 લાખની ઠગાઇ

બગસરામાં નદીપરા વિસ્તારમાં આધેડની કાર બહાર સુરતના સવેલર્સને વેચી દઈ સમઢીયાળાના શખ્સ સાથે 5.50 લાખની છેતરપીંડી આચરવામાં આવી હતી. આ મુદ્દે બગસરા પોલીસ મથકમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ હતી. બગસરાના સમઢીયાળામાં રહેતા જીવરાજભાઇ ભીખાભાઇ ગઢીયા (ઉ.વ.60)એ સાવરકુંડલાના મનુ નાજાભાઇ સેલાર સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મનુ સેલારે તેની માલીકીની કાર નંબર GJ-13-AB-7744 સુરતના હરી ઝવેલર્સ કૌશીકભાઈને 5.50 લાખમાં વેચી દીધી હતી. જીવરાજ ગઢીયાની કાર મનુએ બહાર વેચી 5.50 લાખની છેતરપીંડી કરી હતી. આ અંગે બગસરા પોલીસ મથકમાં મામલો પહોંચતા ગુનો નોંધાયો હતો. છેતરપીંડી અંગે હેડ કોન્સ્ટેબલ એસ.એચ.મીંગ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:00 am

ભાસ્કર વિશેષ:અમરેલીના 91 બાલ બાલિકાઓએ 315 શ્લોક મોઢે કરી રેકોર્ડ સર્જ્યો

સનાતન સંસ્કૃતિના ગૌરવને વૈશ્વિક મંચ પ્રતિશિષ્ટ કરતો એક ઐતિહાસિક અને દિવ્ય પ્રસંગ ગત અટલાદરા ખાતે બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના વડા મહંત સ્વામી મહારાજની 92મી જન્મ જયંતી મહોત્સવ અવસરે યોજાયો હતો. 12723 બાલ બાલિકાઓએ સત્સંગ દીક્ષા સંસ્કૃતમાં 315 શ્લોક મુખપાઠ કરી વર્લ્ડ રેકોર્ડ સર્જી ગિનિસ બુકમાં સ્થાન મેળવ્યું હતું. જેમાં અમરેલીના 91 બાલ બાલિકાઓએ વર્લ્ડ રેકોર્ડ સર્જી ગૌરવસભર સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સિદ્ધિમાં અમરેલીના માત્ર 3થી 13 વર્ષની નાની વયના બાળ વિદ્વાનો 54 બાલિકા 37 બાળકો મળી કુલ 91 દ્વારા મહંત સ્વામી મહારાજને રાજી કરવા અભ્યાસ શરૂ રાખી મોબાઈલ ટીવી અને રમતના આકર્ષણોને બાજુ પર મૂકી શારીરિક બીમારી કે પારિવારિક અગવડો સામે લડીને પણ 2024ની દિવાળી પર સંસ્કૃત દીક્ષા ગ્રંથ મુઠ પાઠ કરવાનો સંકલ્પ કર્યો હતો. તેમણે કુલ 10000 બાળકોએ આ કરવાની આજ્ઞા કરી હતી આ આજ્ઞાને જીલી લઈ ભારતભરમાંથી 15666 બાળકોએ આ ગ્રંથ કંઠસ્થ કર્યો હતો. જેમાંથી 12723 બાલ બાલિકાઓ પૈકી અમરેલીના 91 બાલ બાલિકા સત્સંગ દીક્ષા ગ્રંથના 315 શ્લોક કંઠસ્થ કર્યા હતા. વડોદરાના અટલાદરા ખાતે મહંત સ્વામીના 92માં જન્મ જયંતી મહોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવની ઉપસ્થિતિમાં આ બાળકો એ પરંપરાગત ધોતી અને પાઘમા સજ્જ એક સમાન સુરમાં હિન્દુ ગ્રંથના સૌથી વિરાટ સમૂહ ગાન કર્યા હતા. ઇંગ્લેન્ડથી આવેલા ગિનિસ વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓએ તેની નોંધ લીધી હતી.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:00 am

ભાસ્કર એક્સક્લૂસિવ:8 હજાર ખેડૂતોની રૂા. 132 કરોડની 5.25 લાખ ગુણી મગફળી ખરીદાઇ

સાવરકુંડલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માર્કેટીંગ યાર્ડમાં ચાલુ વર્ષે સરકારની ટેકાના ભાવથી મગફળી ખરીદવા માટે ગુજકોમાસોલના ચેરમેન અને સહકારી નેતૃત્વ સંભાળી રહેલા દિલીપભાઇ સંઘાણીના માર્ગદર્શન નીચે સાવરકુંડલા માર્કેટયાર્ડમાં બે કેન્દ્રો મંજૂર થયેલ હતા. આ કેન્દ્રો પરથી મગીફળી ખરીદવાનો પ્રારંભ ધારાસભ્ય મહેશભાઇ કાસવાલાની ઉપસ્થિતિમાં ગત તારીખ 09/11ના રોજ થયો હતો. સરકારની ટેકાના ભાવથી મગફળી, મગ, અડદ, ચણા, તુવેર, સોયાબિન વગેરે ખેત જણસી ખરીદવાની નીતિ મુજબ સતત સિતેર દિવસ સુધી સાવરકુંડલા માર્કેટ યાર્ડના બંને કેન્દ્રો પરથી ટેકાના ભાવથી મગફળી ખરીદવાનું શરૂ રહેતા સાવરકુંડલા તાલુકા માંથી આઠ હજારથી વધારે ખેડૂતોની સવા પાંચ લાખ ગુણી મગફળીની ખરીદી કરવામાં આવેલ હતી. જેની કિંમત અંદાજે 132 કરોડ થાય છે. સરકારની નવી દાખલ થયેલ સિસ્ટમ મુજબ ડી.બી.ટી. સિસ્ટમથી ડાયરેક નાફેડ મારફત પેમેન્ટથી મોટા ભાગના ખેડૂતોને મગફળી વેચાણના નાણાં ચૂકવાયા છે. આગેવાનો, અગ્રણીઓએ‎ ખરીદીને આવકારી‎સાવરકુંડલા તાલુકાના ખેડૂત અગ્રણી દીપકભાઈ માલાણી ચેરમેન માર્કેટ યાર્ડ અને તાલુકા સંઘ, જીતુભાઈ કાછડીયા પ્રમુખ તાલુકા પંચાયત, મહેશભાઇ લખાણી વાઈસ ચેરમેન માર્કેટ યાર્ડ, દેવાતભાઈ બલદાણિયા સિનિયર ડાયરેક્ટર, પૂર્વ પ્રમુખ આહીર સમાજ, જસુભાઈ ખુમાણ ડાયરેક્ટર, રાધવભાઈ સાવલિયા ચેરમેન ખેતીબેન્ક સાવરકુંડલા સમિતિ અને પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત, લાલભાઈ મોર ચેરમેન કુંડલા તાલુકા એફ.પી.ઓ. અને પૂર્વ સદસ્ય જિલ્લા પંચાયત, માર્કેટ યાર્ડ ડાયરેક્ટરો દુર્લભજીભાઈ કોઠીયા વગેરે અગ્રણીઓએ આ ખરીદીને આવકારેલ છે. મહેશભાઇ કાછડિયા, આર.વિ. રાદડિયા, બાબુભાઇ માલાણી, વેપારી ડિરેક્ટર અશ્વિનભાઈ માલાણી, હરેશભાઈ મશરૂ, કલ્પેશભાઈ ઠુમ્મર, તાલુકા સંઘના ડાયરેક્ટર મનસુખભાઇ દેસાઇ, બટુકભાઈ રુપારેલિયા, ધીરુભાઈ વોરા, હિંમતભાઈ ગુર્જર, હિંમતભાઈ વેકરીયા, માર્કેટ યાર્ડ વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઇ ગજેરા અગ્રણીઓએ આ ખરીદીને આવકારેલ છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:00 am

ભાસ્કર એક્સક્લુસિવ:ચલાલાથી વેરાવળ અને જૂનાગઢની ટ્રેન 22મીથી ફરી દોડતી થશે

આગામી સમયમાં અમરેલી શહેરને બ્રોડગેજ રેલ સુવિધા મળવા જઈ રહી છે. જો કે અમરેલીથી ખીજડીયાના બ્રોડગેજ લાઈનના કામના કારણે એકાદ વર્ષથી અમરેલીથી જૂનાગઢ અને વેરાવળની મીટર ગેજ લાઈનની ત્રણેય ટ્રેનો બંધ કરી દેવાઈ છે. પરંતુ હવે આ ટ્રેનો ફરી શરૂ થવા જઈ રહી છે. ધારીમાં આજે એન્જીનનું ટ્રાયલ લેવાયું હતું. 22મીથી ચલાલાથી આ ટ્રેનો શરૂ કરાશે અને એકાદ માસ બાદ અમરેલીથી આ ત્રણેય ટ્રેન શરૂ થાય તેવી શક્યતા છે. બ્રોડગેજ લાઈનનું કામ અમરેલી-ખીજડીયા વચ્ચે ચાલે છે. જ્યારે અમરેલીથી ચલાલા, ધારી થઈ જૂનાગઢ અને વેરાવળની મીટર ગેજ લાઈન યથાવત બીછાવાયેલી પડી છે. પરંતુ અમરેલીથી જૂનાગઢ અને વેરાવળ વચ્ચે દોડતી ત્રણેય ટ્રેનો બંધ કરી દેવાઈ હતી. અગાઉ આ ટ્રેનોને અમરેલીથી ભલે બંધ કરાય પરંતુ ચલાલા કે ધારીથી યથાવત શરૂ રાખવા ઉગ્ર માંગ ઉઠી હતી. અમરેલીના સાંસદે પણ થોડા સમય પહેલા આ ટ્રેનો શરૂ કરાવવાની ખાતરી આપી હતી. હવે રેલવે દ્વારા પ્રથમ તબક્કે ચલાલાથી જૂનાગઢ અને વેરાવળની ટ્રેનો દોડાવવા તૈયારી શરૂ કરાય છે. આજે ધારી સુધી એક રેલવે એન્જીન દોડાવી તંત્ર દ્વારા ટ્રાયલ લેવામાં આવી હતી. મીટર ગેજ રેલ લાઈન પર ધારીમાં કેટલાક રેલવેના કોચ પણ પડ્યા છે. રેલવે તંત્ર દ્વારા મોટાભાગે 22મી તારીખથી ચલાલાથી ટ્રેન શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. ટ્રેન શરૂ કરવાની ફાઈનલ તારીખ આવતીકાલે નક્કી થવાની છે. ધારીમાં હજુ બ્રોડગેજની રેલ સુવિધા મળી નથી. ત્યારે મીટર ગેજ ટ્રેન શરૂ રાખવાની લોકોની ઉગ્ર માંગ હતી. હવે તંત્ર દ્વારા ફરી ટ્રેન શરૂ કરવા કવાયત હાથ ધરાતા ધારી પંથકના નગરજનોમાં ખુશી જોવા મળી હતી. જો કે આ ટ્રેન આવનારા સમયમાં અમરેલીથી જૂનાગઢ અને વેરાવળ સુધી દોડવાની છે. સંભવત એકાદ માસ કે તેથી થોડા વધુ સમયમાં અમરેલીથી પણ ટ્રેન શરૂ કરી દેવાશે. સાંસદે કહ્યું, બ્રોડગેજનું કામ‎પણ ઝડપથી પૂર્ણ કરાશે‎અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે અમરેલીથી ખીજડીયા વચ્ચે બ્રોડગેજ લાઈનનું કામ ઝડપથી પૂર્ણ કરી દેવાશે. હાલમાં સ્ટેશનનું કેટલુંક કામ બાકી છે. 80 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ છે. 20 ટકા કામગીરી પૂર્ણ થતા બ્રોડગેજ લાઈન કાર્યરત થશે. ગુરૂવારે ધારીમાં એન્જિનનું ટ્રાયલ, તંત્ર દ્વારા ફરી ટ્રેન શરૂ કરાતા લોકોમાં ખુશીવધારાના સ્ટાફની બદલી કરી નખાય છે એકાદ વર્ષથી મીટર ગેજ રેલ લાઈન બંધ હોય રેલવે વિભાગ દ્વારા જુદા જુદા સ્ટેશનો પર અમુક જરૂરી સ્ટાફ રાખીને બાકીનો વધારાનો સ્ટાફ અન્ય સ્ટેશનોમાં મુકી દેવાયો છે. અમરેલી સ્ટેશનમાંથી પણ સ્ટાફને અન્યત્ર ખસેડાયો છે. અગાઉ 15મીથી ટ્રેન દોડાવવાનો પ્લાન''તો‎રેલવે તંત્ર દ્વારા અગાઉ આગામી 15મી‎તારીખથી ધારી, ચલાલા થઈ ટ્રેન શરૂ કરવાનો‎પ્લાન હતો. જો કે હવે તેમાં એક સપ્તાહનો‎વિલંબ થવા જઈ રહ્યો છે.‎

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:00 am

સલૂન સંચાલકની ધરપકડ‎:વલસાડમાં વાળંદના ટ્રાન્ઝેક્શન પર તવાઇ, 66.70 લાખનો ચુનો

વલસાડમાં સાયબર ક્રાઇમ પોલીસને દિલ્હી ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર દ્વારા એક બેંક ખાતામાં શંકાસ્પદ નાણાંકીય વ્યવહારની તપાસમાં મગોદ ખાતે નાની દૂકાન ચલાવી ધંધો કરતાં એક સ્થાનિક હેર કટિંગ સલુનના સંચાલકની સંડોવણી બહાર આવતાં મોટી છેતરપિંડી બહાર લાવવામાં વલસાડ સાયબર ક્રાઇમ પોલીસને મહત્વની સફળતા મળી છે. આ મ્યુ્અલ બેંક ખાતા ભાડે લઇ લોકો સાથે ઠગાઇ કરતાં મુખ્ય સૂત્રધારે વલસાડના બેંક ખાતેદારમાંથી થયેલા નાણાંકીય ટ્રાન્ઝેક્શન પકડાતા કેસમાં કુલ રૂ.66.72 લાખની માતબર રકમની ઠગાઇનો પર્દાફાશ થયો છે. સાયબર ક્રાઇમે ISCCCદિલ્હી દ્વારા શંકાસ્પદ મ્યુલ ખાતાઓની તપાસ બાદ વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજા દ્વારા મ્યુલ બેંક ખાતા ધારકોનો ઉપયોગ કરી લ સાયબર ક્રાઇમ આચરતા ગુનેગારો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહીનો આદેશ આપતા વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ પીઆઇ ભાવિક જિત્યાએ ટીમના સર્વેલન્સ પીએસઆઇ ડી.એસ.પટેલ, એએસઆઇ હમીદ પરિયાણી, કો.લાલા, મિતેશભાઇ, કો. અંકિત બળદેવ, સાયબર એક્સપર્ટ પ્રિતેશ પટેલ સહિતની ટીમ સાથે તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં વલસાડના મગોદ ગામમાં એક ખાતેદારનું બેંક એકાઉન્ટ શંકાના દાયરામાં આવ્યું હતું. સાયબર ટીમે બેંકનો ખાતેદાર વલસાડના મગોદ ગામનો એક હેરકટિંગ સલુનનો સંચાલક નિકળ્યો હતો. સાયબર પોલીસે તાત્કાલિક સલુન સંચાલકને દબોચવા મગોદ પ્રાથમિક શાળા પાસે, રહેતો અને બાલદાઢીનો ધંધો કરતાં ઐયુબ કાદીરભાઇ શેખ ઉ.52ના ઘરે દરોડો પાડી તેને ઉંચકી લીધો હતો.મુખ્ય સૂત્રધાર પારનેરાનો મિતેશ વોન્ટેડ છે. યુવરાજસિંહ જાડેજા, એસપી વલસાડ વલસાડના આરોપી વિરુધ્ધ 23થી વધુ સાયબર ફરિયાદ વલસાડ સાયબર ક્રાઇમ ટીમે જેની હાલે ધરપકડ કરી જેલભેગો કર્યોછે તે હાલના આરોપીના મ્યુલ બેન્ક એકાઉન્ટમાં થયેલા મોટા નાણાંકીય ટ્રાન્ઝેક્શન થયા છે. જેની વિરૂધ્ધ સમગ્ર દેશમાંથી ઘણી ફરિયાદો સામે આવતાં પોલીસ વધુ હરકતમાં આવી છે.તપાસ કરતાં વલસાડ સાયબર ક્રાઇમને એવું જાણવા મળ્યું કે,પકડાયેલા આરોપી વિરૂધ્ધ દેશમાં કુલ 23 જેટલી સાયબર ફરિયાદો દાખલ થઇ છે. A/Cમાં ATM,ચેકથી નાણાં ઉપાડતાવલસાડ સાયબર ક્રાઇમ પીઆઇ ભાવિક જિત્યા અને ટીમની તપાસમાં પકડાયેલો આરોપી અને એકદમ સામાન્ય જણાતાં ઐયુબ શેખના બેંક એકાઉન્ટ ચેક કરવામાં આવતાં પોલીસ સમક્ષ ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. એટીએમથી તેમજ ચેકથી મોટી રકમના નાણાંનો ઉપાડ થયેલી વિગતો જાણવા મળી હતી.જેથી શંકાસ્પદ એકાઉન્ટ મ્યુલ હોવાની પુષ્ટિ થઇ હતી.જેનાથી સતર્ક થયેલી વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે આરોપીને ઝડપવાના ચક્રોગતિમાન કરી દીધાં હતા. પોતાનું એકાઉન્ટ ગેરકાયદે ઉપયોગ માટે આપવા ખાતાધારક જ જવાબદાર રહે છે સામાન્ય પ્રજાજોગના સંદેશ માટે આ બાબત ધ્યાને રાખવી જોઇએ અને સાયબર ફ્રોડ સામે લોકોને સાવધાની વર્તવાની જરૂર છે. પોલીસ અને અન્ય તપાસ સંસ્થાઓની નજરમાંથી બચવા ઠગ ટોળકી સામાન્ય લોકોને નજીવી રકમની લાલચ આપી સકંજામાં લે છે. બાદમાં નાણાંની હેૅરફેર કરવા તેઓના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરે છે.આવા ખાતા મ્યુલ એકાઉન્ટ તરીકે હોય છે.જેથી નાગરિકોએ પોતાનું બેન્ક ખાતું કે સીમકાર્ડ કોઇપણ વ્યક્તિને કોઇપણ બહાને કે લાલચમાં આવીને વાપરવા આપવા નહિ.આવા એકાઉન્ટનો ગેરકાયદેસર ઉપયોગ માટે એકાઉન્ટધારક જ જવાબદાર રહે છે. વાયા ચેઇન થઇ બેન્ક એકાઉન્ટ મુખ્ય‎ભેજાબાજને આપવામાં આવતાં‎સેલુનનો ધંધો કરતો ઐયુબ શેખ તેનો બેન્ક એકાઉન્ટ પારનેરાનો રહીશ‎મિતેશ દિપક પટેલને આપતો હતો.બાદમાં મિતેશ પટેલ તેના મળતિયા‎લોકોને પાર્ટ ટાઇમ જોબની લાલચ આપતો હતો. આ ઉપરાંત ગ્રાહકોને‎ઇન્વેસ્ટમેન્ટ કરવા,વર્ક ફ્રોમ હોમ કરી મોટી કમાણી કરવાની લાલચ‎આપી રોકાણો કરવા પ્રલોભન અપાતું હતું.આ રીતે તેમની સાથે‎છેતરપિંડી કરી રકમ મેળવી તે રૂપિયા મિતેશ દિપક પટેલ આગળ‎તેમના મળતિયાઓ ઉપર મોકલી આપી સાયબર ફ્રોડના રૂપિયા સગેવગે‎કરવા માટે મોકલી દેતો હતો.‎

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:00 am

રામ ભક્તોમાં ખુશીની લાગણી:ઉનાઈના પૌરાણિક ‘મૂછવાળા રામજી''‎મંદિરનો 22 મહિના બાદ હવે થશે જીર્ણોદ્ધાર‎, ડાંગ-વલસાડ સાંસદના પત્ર અને રૂબરૂ ચર્ચા ફળી

વાંસદા તાલુકાનું ઐતિહાસિક અને પૌરાણિક ઉનાઈ મંદિરની બાજુમાં એકમાત્ર મૂછવાળા રામજીનું મંદિર છે. આ મંદિર ઘણાં સમયથી જર્જરિત અવસ્થામાં હોવાના અહેવાલ પ્રકાશિત થતા તંત્ર દ્વારા આ મંદિરના જીર્ણોદ્ધાર માટે 22 મહિના પહેલા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ખાતમુહૂર્ત કરાયું હતું. જે બાદ મંદિર નિર્માણ માટે 22 મહિના વિતવા છતાં મંદિરનો પાયો ન નંખાતા રામભક્તોમાં રોષ જોવા મળી રહ્યો હતો. રામ ભક્તો દ્વારા વહીવટી તંત્રને વારંવાર રજૂઆતો કરાઇ હતી પરંતુ તંત્ર દ્વારા રૂ. 1.76 કરોડની ગ્રાન્ટ ઓછી છે વધુ ગ્રાન્ટ ફાળવણી કરવા માટે પ્રવાસન વિભાગમાં રજૂઆત કરી છે એવું એક જ રટણ રટાતું હતું. માત્ર રજૂઆતના દોરને લઈ 22 મહિના વીતવા છતાં હજુ પણ તંત્ર માત્ર રજૂઆત કરવાનું આશ્વાસન આપી રહ્યાં હતા. જેને લઈ રામ ભક્તો દ્વારા વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલને વાંસદા સર્કિટ હાઉસમાં રૂબરૂ મળી રામજી મંદિરના અટકેલા નિર્માણ કાર્ય તેમજ ઉનાઈ મંદિરમાં અનેક સુવિધાઓ ઉભી કરાય એવી રજૂઆત કરી હતી. વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે રામભક્તોને રામ મંદિર વહેલી તકે રામજી મંદિર બનાવવાની બાંહેધરી આપી અને આ કાર્ય માટે તેમણે મુખ્યમંત્રીને પત્ર તેમજ રૂબરૂ મુલાકાત કરી રામજી મંદિર મુદ્દે ચર્ચા કરી હતી. રાજ્યના મુખ્યમંત્રીને જણાવ્યું કે કોઈ પણ ભોગે યુદ્ધના ધોરણે ગ્રાન્ટની ફાળવણી કરી મંદિર નિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવે. સાંસદની રજૂઆતને લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પ્રવાસન વિભાગને સ્પષ્ટ સૂચના આપી મંદિર નિર્માણની ગ્રાન્ટ ફાળવણી કરી યુદ્ધના ધોરણે મંદિર નિર્માણની કામગીરી શરૂ કરાશે તેમજ મંદિર નિર્માણનું કાર્ય વહેલી તકે પૂર્ણ પણ કરવાની ખાતરી આપતા સાંસદ ધવલભાઈ પટેલની મહેનત રંગ લાવી છે. સાંસદ ધવલભાઈ પટેલના અથાગ પ્રયત્નોને લઈ મંદિર નિર્માણનું કાર્ય શરૂ થવાને લઈ રામ ભક્તોમાં હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી ઉનાઇના પૌરાણિક મુછવાળા રામજી મંદિર ના જીણોદ્ધાર માટે ચર્ચાઓ થતી રહી છે. પરંતુ ટ્રસ્ટ કે સરકાર દ્વારા તે માટે યોગ્ય આયોજન હાથ ધરાયું ન હતું. હવે ડાંગ-વલસાડના સાંસદની રજૂઆતને ધ્યાનમાં રાખી સરકાર હરકતમાં આવી છે. મોટી ગ્રાંટ ફાળવણીને લઇ કામગીરી અટકી હતીરામજી મંદિર માટે રામભક્તો મને રૂબરૂ મળ્યા હતા અને ઉનાઈ મંદિરની સુવિધામાં વધારો કરવાની પણ રજૂઆત કરી હતી. જેને લઇ મુખ્યમંત્રીને પત્ર લખી તેમજ રૂબરૂ ચર્ચા કરી હતી. રામજી મંદિર ભવ્ય બનવાનું હોય મોટી ગ્રાન્ટ ફાળવણીને લઈ કામગીરી અટકી હતી, જેને લઈ વિલંબ થઈ રહ્યો હતો પરંતુ મુલાકાત બાદ મુખ્યમંત્રી દ્વારા પ્રવાસન વિભાગને આદેશ કરી ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવા જણાવ્યું છે. > ધવલભાઈ પટેલ, સાંસદ, વલસાડ- ડાંગ

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:00 am

નવસારીમાં પારો ઉંચકાયો:મહત્તમ તાપમાન 33.5 ડિગ્રીએ પહોંચતા બપોરે ગરમીનો અહેસાસ

દક્ષિણ ગુજરાતમાં બદલાતા હવામાનની વચ્ચે નવસારી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસના આંકડાઓ પર નજર કરીએ તો, નવસારીનું મહત્તમ તાપમાન 31.5 ડિગ્રીથી વધીને 33.5 ડિગ્રી સુધી પહોંચ્યું છે. એ જ રીતે લઘુત્તમ તાપમાનમાં પણ ક્રમશઃ વધારો થયો છે. ત્રણ દિવસ અગાઉ લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી હતું, જે વધીને 16.5 અને ત્યારબાદ ગુરુવારે 17.5 ડિગ્રી નોંધાયું હતું.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:00 am

સમસ્યા:સુરેન્દ્રનગર ડેપો બહાર જ આડસો‎વાહનોના ખડકલાથી લોકો પરેશાન‎

ઝાલવાડના મુખ્ય મથક સમાન સુરેન્દ્રનગર એસટી ડેપોમાં અત્યારે મુસાફરોની સુવિધા કરતા અસુવિધાઓ અને જોખમ વધુ જોવા મળી રહ્યુ છે. ડેપોના બીજા પ્રવેશદ્વાર પાસે ખાનગી વાહનો અને આડેધડ મૂકાયેલી આડસોને કારણે ગમે ત્યારે અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. આથી મુસાફરોમાં રોષ જોવા મળે છે. ડેપોના બીજા ગેટ પાસે જ ખાનગી રીક્ષાઓ, કાર અને અન્ય વાહનોનો અડીંગો જમાવાયેલો રહે છે. આ ઉપરાંત, પ્રવેશદ્વારની આસપાસ આડેધડ પડેલી આડસો (બેરિકેટ્સ) અને દબાણોને કારણે એસટી બસોને વળાંક લેવામાં ભારે મુશ્કેલી પડે છે. ઘણીવાર બસ અને ખાનગી વાહનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાય છે. જેમાં પગપાળા ચાલતા મુસાફરો કચડાઈ જવાનો સીધો ભય રહેલો છે. તંત્રની મીંચામણી આંખની મુસાફરોમાં રાવ ઉઠી છે. ડેપો અને સ્થાનિક પોલીસ તંત્ર આ સમસ્યાથી પરિચિત હોવા છતાં કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી. ખાસ કરીને પીક અવર્સ દરમિયાન જ્યારે બસોની અવરજવર વધુ હોય છે, ત્યારે આ ગેટ પાસે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. આથી બીજા ગેટ પાસેથી તાત્કાલિક ખાનગી વાહનો હટાવવામાં આવે. ડેપો પરિસરમાં ટ્રાફિક નિયમન માટે કાયમી ગાર્ડની નિમણૂંક થાય. ગેટ પાસે રહેલા બિનજરૂરી દબાણો અને આડસો દૂર કરવામાં આવે સહિતની મુસાફરોમાં માંગ ઉઠી હતી. આ અંગે કિશોરભાઇ પરમાર, મોહનભાઈ મકવાણા, ટીનાબેન સોલંકી વગેરેએ જણાવ્યું કે, ડેપોમાં વૃદ્ધો, બાળકો, મહિલા સહિતના મુસાફરોની અવરજવર રહે છે. તેમાંય જ્યારે પ્લેટફોમ પર બસ પકડવાની થાય ત્યારે દોડાદોડી થતી હોય છે. આથી આડસો અને ખાનગી વાહનોના કારણે મુશ્કેલી ઉભી થાય છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 4:00 am

IT કંપનીમાં નોકરી કરતી યુવતીને મંત્રેલું પાણી પીવા સાસરિયાઓનું દબાણ:પરિણીતાની ફરિયાદ, મેટ્રિમોનિયલ સાઈટ પરથી યુવકની પસંદગી કરી લગ્ન કર્યા હતા

રાજકોટની યુવતીએ મેટ્રોમોનિયલ સાઇટ પરથી બેંકમાં નોકરી કરતા યુવક સાથે લગ્ન કર્યા હતા.પરંતુ લગ્નજીવન શરૂ થયા બાદ જ પતિ અને સાસરીયાઓ દ્વારા અંધશ્રદ્ધા અને કમાણીના દબાણ સાથે માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.યુવતીને મંત્રેલું પણ પીવડાવવામાં આવતું હતું જેથી યુવતીએ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મેટ્રિમોનિયલ સાઈટ પર યુવકનો સંપર્ક થયા બાદ લગ્ન કર્યા હતામૂળ રાજકોટની અને અમદાવાદના ઘાટલોડિયામાં રહેતી 29 વર્ષીય યુવતી આઈટી કંપનીમાં કામ કરે છે.યુવતીએ મેટ્રોમોનિયલ સાઇટ પરથી વર્ષ 2024માં જૂનાગઢના અને હાલ વડોદરા ખાતે બેંકમાં નોકરી કરતા યુવક સાથે લગ્ન કર્યા હતા.લગ્ન બાદ સાસરીયાઓએ યુવતી સામે શરતો મૂકતા જણાવ્યું હતું કે તે અમદાવાદમાં નોકરી કરીને ઘરનું ભાડું અને અન્ય ખર્ચ ઉઠાવે તો જ તેને પતિ સાથે રહેવા દેવામાં આવશે.ઉપરાંત પિયરમાંથી મળેલું સોનું પરત આપવા દબાણ કરાયું હતું. યુવતીને મંત્રેલું પાણી પીવા દબાણ કરાતું હતુંસાસરિયા અંધશ્રદ્ધામાં યુવતી પર વિવિધ આક્ષેપો કરતા હતા.પિયરમાંથી લાવેલી મીઠાઈમાં વશીકરણ કરેલું હોવાનું કહી તે ગાયને ખવડાવી દેવામાં આવી હતી. યુવતીને મંત્રેલું પાણી પીવા દબાણ કરવામાં આવતું અને પતિને તેના પર તાંત્રિક વિધિ કરવામાં આવી હોવાનો ભય બતાવવામાં આવતો હતો.આ દરમ્યાન યુવતી બિમાર પડી ત્યારે પતિએ સારવાર કરાવવાની જગ્યાએ તેને એકલી મૂકી દીધી હતી.ત્યારબાદ પતિએ ઈમેઈલ અને મેસેજ દ્વારા ડિવોર્સ માટે અરજી કરી દીધી હોવાનું જણાવી હવે છૂટાછેડા લેવા પડશે તેમ કહી ફોન મૂકી દીધો હતો. ત્યારબાદ તે કોઈ પ્રકારની વાતચીત કરવા તૈયાર ન હતો.આખરે માનસિક રીતે ત્રસ્ત થયેલી યુવતીએ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસરીયા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Feb 2026 12:05 am

ગીર સોમનાથમાં બોર્ડ પરીક્ષા પૂર્વે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક:શિક્ષણમંત્રીની અધ્યક્ષતામાં 49 કેન્દ્રો પર 29,511 વિદ્યાર્થીઓની તૈયારીઓની સમીક્ષા

ગીર સોમનાથ જિલ્લામાં આગામી 26 ફેબ્રુઆરી, 2026થી શરૂ થનારી ધોરણ 10 (SSC) અને ધોરણ 12 (HSC) બોર્ડ પરીક્ષાઓની તૈયારીઓ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજાઈ હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત આ પરીક્ષાઓમાં નિયમિત, રિપિટર, પૃથક અને ખાનગી ઉમેદવારો પણ સામેલ થશે. ઈણાજ ખાતે યોજાયેલી આ બેઠકમાં પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ તેમજ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા અને શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ રાજ્યના તમામ જિલ્લાઓ સાથે જોડાઈને તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરી હતી. ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે જિલ્લામાં પરીક્ષા સુચારૂ અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે કરાયેલી પૂર્વ તૈયારીઓ વિશે માહિતી આપી. તેમણે જણાવ્યું કે જિલ્લામાં કુલ 49 પરીક્ષા કેન્દ્રો પર 29,511 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સતત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા પી.જી.વી.સી.એલ. દ્વારા ખાસ આયોજન કરાયું છે. ઉપરાંત, આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક સારવાર માટે ટીમો તૈયાર રાખવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓને જરૂર પડ્યે સહાય મળી રહે. રાજ્ય સ્તરની આ બેઠકમાં શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મિલિંદ તોરવણે, બોર્ડના અધ્યક્ષ તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા સ્તરે જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી. બોરિચા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અશોક પટેલ અને અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ જોડાયા હતા.આ સમગ્ર આયોજનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને તણાવમુક્ત અને અનુકૂળ વાતાવરણમાં પરીક્ષા આપવાની તક પૂરી પાડવાનો છે.

દિવ્ય ભાસ્કર 12 Feb 2026 10:52 pm

બોટાદમાં 16,554 વિદ્યાર્થીઓ આપશે બોર્ડ પરીક્ષા:શિક્ષણમંત્રીની અધ્યક્ષતામાં બેઠક, 58 કેન્દ્રો પર તૈયારીઓ પૂર્ણ કરાઈ

બોટાદ જિલ્લામાં ફેબ્રુઆરી-માર્ચ 2026 દરમિયાન યોજાનારી ધોરણ-10 અને ધોરણ-12 બોર્ડ પરીક્ષા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. કુલ 16,554 વિદ્યાર્થીઓ 58 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપશે. શિક્ષણમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી વિડિયો કોન્ફરન્સ બેઠકમાં પરીક્ષાની તૈયારીઓ, કાયદો-વ્યવસ્થા, વીજ પુરવઠો અને પરિવહન સહિતની આવશ્યક વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પરીક્ષામાં ધોરણ-10ના 10,082 વિદ્યાર્થીઓ, ધોરણ-12 સામાન્ય પ્રવાહના 5,542 વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહના 930 વિદ્યાર્થીઓ ભાગ લેશે. જિલ્લા કલેકટરે પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે કડક દેખરેખ રાખવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી છે. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ અને નિર્ભય વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે સુનિશ્ચિત કરવા તમામ વિભાગોને સંકલિત કામગીરી માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારીએ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 12 Feb 2026 10:52 pm

ગોધરા RTOએ 14 સ્કૂલ વાન ચાલકો સામે કાર્યવાહી કરી:નિયમોના ભંગ બદલ ₹1.50 લાખથી વધુનો દંડ ફટકાર્યો

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને RTO વિભાગે કડક કાર્યવાહી કરી છે. મોટર વ્હીકલ એક્ટના નિયમોનો ભંગ કરનારી 14 સ્કૂલ વાન સામે પગલાં લેવામાં આવ્યા છે, જેમાં કુલ ₹1.50 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. ગોધરા RTO ટીમે ખાસ કરીને બામરોલી રોડ અને પરવડી ચોકડી વિસ્તારમાં સ્કૂલ વાનનું આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. આ બંને વિસ્તારો વિદ્યાર્થીઓને લઈ જતી વાન માટે મહત્વના પોઈન્ટ્સ છે.ચેકિંગ દરમિયાન, સ્કૂલ વાન ચાલકો પાસે વાહન ફિટનેસ સર્ટિફિકેટ, PUC (પોલ્યુશન અન્ડર કંટ્રોલ) સર્ટિફિકેટ, વાહન પરમિટ અને સ્કૂલ પરમિટ ન હોવાનું જણાયું હતું. આ ઉપરાંત, કેટલીક વાનનો વીમો પણ સમાપ્ત થઈ ગયો હોવાનું સામે આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 12 Feb 2026 10:49 pm

સોમનાથમાં મહાશિવરાત્રીનું તૈયારીઓની સ્થળ સમીક્ષા:કલેક્ટર ઉપાધ્યાયે અધિકારીઓને આપ્યા જરૂરી માર્ગદર્શન

દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ સોમનાથમાં મહાશિવરાત્રી પર્વની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભક્તોના વધતા પ્રવાહને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોની સ્થળ સમીક્ષા કરી વ્યવસ્થાનો તાગ મેળવ્યો હતો. કલેક્ટરે 14 અને 15 ફેબ્રુઆરીએ યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમોની બેઠક વ્યવસ્થા, મહાઆરતી કાર્યક્રમ, ત્રિવેણી સંગમ વિસ્તાર, હેલિપેડ અને સુરક્ષા દૃષ્ટિએ મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત લીધી હતી. ભક્તોને સરળતાથી દર્શન મળી રહે તે માટે લાઈન મેનેજમેન્ટ, ફ્રિસ્કિંગ પોઈન્ટ અને પોલીસ બંદોબસ્ત અંગે અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે, મહાશિવરાત્રી નિમિત્તે 14 ફેબ્રુઆરીના રોજ સુપ્રસિદ્ધ ગાયક કૈલાશ ખેર, પાર્થ ઓઝા અને ઉર્વશીબેન રાદડિયા દ્વારા સંગીત સંધ્યા યોજાશે. જ્યારે 15 ફેબ્રુઆરીના રોજ જીગરદાન ગઢવી, ઋષભ આહીર, રુજુ જાદવ અને યશ બારોટ શિવ મહિમાની સંગીતમય પ્રસ્તુતિ આપશે. આ કાર્યક્રમો માટે વિશાળ સ્ટેજ, સાઉન્ડ અને લાઈટિંગ વ્યવસ્થા તૈયાર કરાઈ છે. આ વર્ષે આશરે ચારથી પાંચ લાખ જેટલા શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચે તેવી સંભાવના છે. તેને અનુલક્ષીને પોલીસ વિભાગ સાથે સંકલન કરી ટ્રસ્ટ દ્વારા લાઈનોમાં સમય ઘટાડવા ખાસ વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. ભક્તોની સુવિધા માટે ટ્રસ્ટ દ્વારા ભંડારાની વ્યવસ્થા કરવામાં આવી છે, ઉપરાંત વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા છથી સાત ભંડારાઓનું આયોજન કરાયું છે. ઓડિશાના સેન્ડ આર્ટિસ્ટ દ્વારા મંદિર પરિસરમાં વિશિષ્ટ રેતચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કલેક્ટરની મુલાકાત સમયે જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક વી.આર. ખેંગાર, પ્રાંત અધિકારી વિનોદ જોશી તથા નગરપાલિકા, આરોગ્ય, શિક્ષણ અને અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા

દિવ્ય ભાસ્કર 12 Feb 2026 10:48 pm

લુણાવાડામાં MGVCL દ્વારા સ્માર્ટ મીટર જાગૃતિ કેમ્પ:'સ્માર્ટ મીટર પખવાડિયા' અંતર્ગત ગેરસમજ દૂર કરાઈ

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા 'સ્માર્ટ મીટર પખવાડિયા'ની ઉજવણીના ભાગરૂપે ગ્રાહકોમાં જાગૃતિ લાવવા લુણાવાડામાં એક વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. લુણાવાડા વિભાગીય કચેરી દ્વારા 09.02.2026 થી 23.02.2026 દરમિયાન યોજાનારા આ અભિયાન અંતર્ગત શહેરના મુખ્ય ફુવારા ચોક ખાતે લાઈવ ડેમોન્સ્ટ્રેશન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોને સ્માર્ટ મીટરની કાર્યપ્રણાલી સમજાવવાનો અને ટેકનોલોજી પ્રત્યે તેમનો વિશ્વાસ વધારવાનો હતો. આ કાર્યક્રમમાં 100થી વધુ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સ્માર્ટ મીટર અને સાદા મીટર વચ્ચેના તફાવત અંગે ગ્રાહકોની ગેરસમજ દૂર કરવા માટે લાઈવ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. એક જાગૃત ગ્રાહકની હાજરીમાં સ્માર્ટ મીટર સાથે સાદું મીટર જોડીને વીજ વપરાશની ચકાસણી કરાઈ હતી. આ પ્રાયોગિક પરીક્ષણમાં સાબિત થયું કે બંને મીટરમાં વીજ વપરાશની નોંધણી એકસમાન જ થાય છે. આ પ્રયોગ દ્વારા 'સ્માર્ટ મીટર ઝડપથી ફરે છે' તેવી વ્યાપક ગેરમાન્યતાને MGVCLની ટીમે પુરાવા સાથે દૂર કરી હતી. કેમ્પમાં હાજર વીજ ગ્રાહકોના વિવિધ પ્રશ્નો અને મૂંઝવણોનું અધિકારીઓ દ્વારા સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ લાવવામાં આવ્યું હતું. સ્માર્ટ મીટરના ફાયદાઓ વિશે વિગતવાર માહિતી મળ્યા બાદ ગ્રાહકોમાં ફેલાયેલી આશંકાઓ દૂર થઈ હતી. ઉપસ્થિત લોકોએ સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરવા માટે હકારાત્મક રુચિ દાખવી સહકાર આપવાની ખાતરી આપી હતી. MGVCL દ્વારા આગામી દિવસોમાં પણ આ પખવાડિયા અંતર્ગત અન્ય વિસ્તારોમાં આવા જાગૃતિ કાર્યક્રમો ચાલુ રાખવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 12 Feb 2026 10:44 pm

ગોધરામાં 5.80 કરોડના રસ્તાઓનું ખાતમુહૂર્ત:વિધાનસભા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોને મળશે નવી કનેક્ટિવિટી

ગોધરા વિધાનસભા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ રૂ. 5.80 કરોડના ખર્ચે બનનારા ચાર મુખ્ય રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના ગ્રામીણ વિકાસ પ્રત્યેના સમર્પણ અને ગોધરાના ધારાસભ્ય તથા ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ સી.કે. રાઉલજીના પ્રયાસોના પરિણામે આ કાર્યક્રમ યોજાયો હતો.આ રસ્તાઓનું ઉદ્ઘાટન ધારાસભ્ય સી.કે. રાઉલજીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ચાર રસ્તાઓમાં સારંગપુર, થાણા ગર્જન, આંગડિયા અને સાંકલી આંટાનો સમાવેશ થાય છે. આ રસ્તાઓના નિર્માણથી ગોધરા વિધાનસભા વિસ્તારના અંતરિયાળ ગામડાઓ વચ્ચે જોડાણ વધશે. ખેડૂતો, ગ્રામજનો અને છેવાડાના વિસ્તારોના લોકોને ખેતરો, પેટાપારા, મુખ્ય ગામો અને આસપાસના વિસ્તારો સુધી સરળ, સુરક્ષિત અને સારી અવરજવરની સુવિધા મળશે. રાજ્ય સરકાર ગામડાઓના વિકાસને ઉચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. ધારાસભ્ય રાઉલજીની ભલામણો અને પ્રયાસોથી ગોધરા વિધાનસભા વિસ્તારમાં અનેક રસ્તાઓ મંજૂર થયા છે. તાજેતરમાં જ રૂ. ૨૨૫ લાખના રસ્તાઓનું પણ ખાતમુહૂર્ત થયું હતું અને આગામી દિવસોમાં વધુ રસ્તાઓનું ખાતમુહૂર્ત થવાની શક્યતા છે. આ રસ્તાઓ ગ્રામીણ જીવનધોરણમાં સુધારો લાવશે, વેપાર-ધંધાને પ્રોત્સાહન આપશે અને ગામડાઓને નવો વેગ મળશે. આ ખાતમુહૂર્ત સમારોહમાં જિલ્લા પંચાયત સભ્યો, જિલ્લા અને તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો, ભાજપના વિવિધ પદાધિકારીઓ, કાર્યકરો, સરપંચો, ગ્રામપંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 12 Feb 2026 10:43 pm

હળવદના ટીકરમાં 3.94 લાખની ચોરી:મીઠાની ખેતી કરવા ગયેલા પરિવારના ઘરમાંથી દાગીના ચોરાયા

હળવદ તાલુકાના ટીકર ગામે એક ચોરીનો બનાવ સામે આવ્યો છે. મીઠાની ખેતી કરવા ગયેલા એક પરિવારના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ રૂ. 3,94,057ની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી હતી. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ટીકર ગામના રહેવાસી સુરેશભાઈ કાનજીભાઈ મકવાણા (ઉં.વ. 24)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, રાત્રીના સમયે અજાણ્યા શખ્સોએ તેમના રહેણાંક મકાનની દીવાલ કૂદીને પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનો લોક તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાંથી સોનાના બે હાર, કાનમાં પહેરવાની બે બુટ્ટી અને શેર, તથા સોનાની બે વીંટી સહિત કુલ સાડા પાંચ તોલા સોનાના દાગીનાની ચોરી થઈ હતી. આ દાગીનાની કુલ કિંમત રૂ. 3,94,057 આંકવામાં આવી છે. ફરિયાદી સુરેશભાઈએ જણાવ્યું હતું કે, હાલમાં મીઠાની સીઝન ચાલી રહી હોવાથી તેઓ અને તેમનો પરિવાર ટીકર રણમાં મીઠાની ખેતી કરવા ગયા હતા. કામ સબબ તેઓ ટ્રેક્ટર લઈને ગામમાં પાછા ફર્યા ત્યારે તેમના ઘરના તાળાં તૂટેલા જોયા હતા. ઘરમાં તપાસ કરતા સોનાના દાગીના ગાયબ જણાયા હતા. આથી, સુરેશભાઈએ તાત્કાલિક હળવદ તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 12 Feb 2026 10:43 pm

હિંમતનગરની માય ઓન હાઇસ્કુલનો વાર્ષિકોત્સવ યોજાયો:નિવૃત શિક્ષકો, તેજસ્વી વિદ્યાર્થીઓ અને ખેલાડીઓનું સન્માન કરાયું

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતેના ડૉ. નલિનકાન્ત ગાંધી ટાઉન હોલમાં માય ઓન હાઈસ્કૂલનો વાર્ષિકોત્સવ તાજેતરમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. શાળામાંથી નિવૃત્ત થતા શિક્ષકો, તેજસ્વી વિદ્યાર્થીઓ અને રમતગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વાર્ષિકોત્સવનો પ્રારંભ પ્રાર્થનાથી થયો હતો, ત્યારબાદ દીપ પ્રાગટ્ય, સ્વાગત પ્રવચન અને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ધોરણ 1 થી 12 ના લગભગ 350 વિદ્યાર્થીઓએ 15 થી વધુ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારોહ પણ યોજાયો હતો, જેમાં તેમને શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યા હતા. આ વાર્ષિકોત્સવમાં શાળામાંથી નિવૃત્ત થતા ચાર શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ઉચ્ચતર વિભાગના ખેમાભાઈ એન. પટેલ, માધ્યમિક વિભાગના અરવિંદભાઈ જે. પ્રજાપતિ અને પ્રાથમિક વિભાગના છાયાબેન એચ. પંડ્યા તથા શ્રદ્ધાબેન એસ. નાયકનો સમાવેશ થાય છે. શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનારા વિદ્યાર્થીઓને પણ બિરદાવવામાં આવ્યા હતા. ધોરણ 1 થી 12 માં પ્રથમ અને બીજા ક્રમે આવેલા 24 તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત, રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા 50 ખેલાડીઓને પણ મહેમાનોના હસ્તે ઇનામ અને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ વાર્ષિકોત્સવમાં દિલીપભાઈ ગાંધી, નાગરિક સહકારી બેંક લિમિટેડના ચેરમેન દિલીપભાઈ જે. શાહ, હર્ષદભાઈ શાહ, ગોપાલસિંહ રાઠોડ, શૈલેષભાઈ મોદી, વિનાયકભાઈ સુથાર, સંકેતભાઈ શાહ, દલજીતસિંહ રાઠોડ, વાસુભાઈ વણઝારા, નૂતન કેળવણી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અતુલ શાહ અને પ્રમુખ સંજયભાઈ જે. પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સમગ્ર સ્ટાફે સઘન જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 12 Feb 2026 10:42 pm

દીવના દરિયા કિનારેથી સિંહનો મૃતદેહ મળ્યો:વન વિભાગની ટીમે 50 ફૂટ ઊંડી ભેખડમાંથી ક્રેન દ્વારા મૃતદેહ બહાર કાઢ્યો

ગીરના રાજા ગણાતા એશિયાટિક સિંહો હવે માત્ર જંગલ પૂરતા મર્યાદિત ન રહેતા માનવ વસાહત અને દરિયાકાંઠાના વિસ્તારો સુધી પહોંચી રહ્યા છે. તાજેતરમાં દીવના કિલ્લા નજીક દરિયાની ભેખડમાંથી એક સિંહનો મૃતદેહ મળી આવતા વનવિભાગમાં દોડધામ મચી ગઈ છે. મૃતદેહ દરિયાની ભેખડમાં અંદાજે 50 ફૂટ જેટલી ઊંડાઈએ ફસાયેલો હતોદીવ કિલ્લા પાસે દરિયાની ખાડીમાં એક સિંહનો મૃતદેહ પડ્યો હોવાની જાણ દીવ વનવિભાગને થઈ હતી. આ અંગે તાત્કાલિક ધારીના DCF વિકાસ યાદવને જાણ કરવામાં આવી હતી. તેમની સૂચના બાદ જસાધાર રેન્જના RFO એલ.બી. ભરવાડ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સિંહનો મૃતદેહ દરિયાની ભેખડમાં અંદાજે 50 ફૂટ જેટલી ઊંડાઈએ ફસાયેલો હતો. ભૌગોલિક સ્થિતિ પડકારજનક હોવાથી વનવિભાગે ક્રેનની મદદ લીધી હતી અને ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખસેડાયોRFO ભરવાડના જણાવ્યા અનુસાર મૃતક સિંહ નર છે અને તેની ઉંમર અંદાજે 5 વર્ષની છે. મૃતદેહને તાત્કાલિક જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. હાલ DCFના માર્ગદર્શન હેઠળ મોતનું સચોટ કારણ જાણવા માટેની તપાસ તેજ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે સિંહનું મૃત્યુ ડૂબી જવાથી થયું છે કે અન્ય કોઈ કારણોસર મૃત્યુનું કારણ શોધવા વન વિભાગની તપાસ સિંહનું મૃત્યુ કેવી રીતે થયું તે અંગે વનવિભાગ અત્યારે બે શક્યતાઓ તપાસી રહ્યું છે. સિંહ શિકારની શોધમાં અથવા વિચરણ કરતા કરતા ભૂલથી ભેખડ પરથી દરિયામાં ખાબક્યો હોય અને ઈજા અથવા ડૂબી જવાથી મોત થયું હોય. સિંહ અન્ય કોઈ જગ્યાએ મૃત્યુ પામ્યો હોય અને તેનો મૃતદેહ દરિયાના મોજામાં તણાઈને દીવના કિનારે આવ્યો હોય શકે. સિંહના વિચરણમાં વધારોછેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને દીવ સુધી સિંહોનું સામ્રાજ્ય વિસ્તર્યું હોય તેવા દ્રશ્યો વારંવાર સામે આવી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર સિંહોની સુરક્ષા અને તેમના બદલાતા રહેઠાણ અંગે ચર્ચા જગાવી છે.

દિવ્ય ભાસ્કર 12 Feb 2026 10:24 pm

સુરતના કુખ્યાત ચિરાગ ગોટીનો આતંક હવે નવસારી સુધી પહોંચ્યો:બીલીમોરામાં ભાગીદારને ઢોર માર મારી વીડિયો ઉતાર્યો, 11 હજાર માટે અપહરણ કરી આખી રાત ગોંધી રાખ્યો

સુરતના ચિરાગ ગોટી સામે નવસારીના બીલીમોરા પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનો નોંધાયો છે. ચિરાગે વર્ષ 2024માં તેના ભાગીદાર પાર્થ મિયાણીને દંડા વડે માર માર્યો હતો અને તેનો વીડિયો પણ બનાવડાવ્યો હતો. હાલ સુરત પોલીસની પકડમાં રહેલા ચિરાગનો કબજો બીલીમોરા પોલીસ ટ્રાન્સફર વોરંટથી મેળવશે. પાર્થ મિયાણીને માર મારવી ઘટના 2024નીઆ ઘટના વર્ષ 2024ની છે, જ્યારે ચિરાગ ગોટી અને પાર્થ બાબુ મિયાણી બીલીમોરામાં લાઈટ ઓઈલ ડીઝલનો વ્યવસાય કરતા હતા. ધંધામાં ₹11,000ની ખોટ આવતા ચિરાગે પાર્થ મિયાણી પર આ રકમ લઈ લીધાનો આરોપ મૂકી ઉશ્કેરાયો હતો. પોતાની ધાક જમાવવા માટે, ચિરાગ ગોટીએ કંપનીના કર્મચારી રાકેશ રાઠવાને પોતાનો ફોન આપી પાર્થને માર મારવાનો વીડિયો રેકોર્ડ કરવાની સૂચના આપી હતી. 19 નવેમ્બર 2024ના રોજ ચિરાગે પાર્થને દંડા વડે માર માર્યો હતો, જેનું લાઈવ શૂટિંગ કરવામાં આવ્યું હતું. માર માર્યા બાદ ચિરાગ પાર્થને બળજબરીપૂર્વક સુરત લઈ ગયો હતો. ત્યાં તેને એક ખાનગી સ્થળે આખી રાત ગોંધી રાખવામાં આવ્યો હતો. પાર્થના ઘરેથી ₹11,000 મંગાવ્યા પછી જ તેને મુક્ત કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પાર્થને પગના ભાગે ગંભીર ફ્રેક્ચર થયું હતું. તેણે સુરતની ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર કરાવી હતી. કેમ અત્યાર સુધી ફરિયાદ ન થઈ?ચિરાગ ગોટીએ આ મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. તેણે પાર્થને ધમકી આપી હતી કે, જો આ બાબતે કોઈને જાણ કરી તો જાનથી મારી નાખીશ. આ ધમકી અને ચિરાગના ડરને કારણે પાર્થ મિયાણીએ તે સમયે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. બીલીમોરા પોલીસ ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવશેહાલમાં જ્યારે સુરતમાં ચિરાગ ગોટી વિરુદ્ધ એક પછી એક ફરિયાદોનો ધોધ છૂટ્યો છે અને તે પોલીસ કસ્ટડીમાં છે, ત્યારે પાર્થ મિયાણીએ પણ હિંમત દાખવી બીલીમોરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગેરકાયદે અટકાયત, ઢોર માર મારવો બળજબરીપૂર્વક નાણાં પડાવવા (ખંડણી), જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ટૂંક સમયમાં બીલીમોરા પોલીસ સુરત જઈ ચિરાગ ગોટીનો કબજો મેળવશે.

દિવ્ય ભાસ્કર 12 Feb 2026 10:06 pm

રાજ્યના 47 મામલતદાર-TDOને ઈન-સીટુ બઢતી:24 મામલતદાર અને 23 તાલુકા વિકાસ અધિકારીઓનો સમાવેશ, જુઓ સંપૂર્ણ લિસ્ટ

રાજ્ય સરકારે વહીવટી તંત્રમાં મહત્વનો નિર્ણય લઈને કુલ 47 અધિકારીઓને બઢતી આપી છે. મહેસૂલ વિભાગના 24 મામલતદાર અને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ વિભાગના 23 તાલુકા વિકાસ અધિકારીઓ (TDO)ને ઉચ્ચ પગારધોરણમાં બઢતી આપવામાં આવી છે. નોંધનીય બાબત એ છે કે આ અધિકારીઓની બદલી કરવામાં આવી નથી, પરંતુ તેઓ હાલ જે જગ્યાએ ફરજ બજાવી રહ્યા છે, ત્યાં જ યથાવત રાખવામાં આવ્યા છે. હંગામી બઢતી આપી જે જગ્યાએ છે ત્યાં જ યથાવત રખાયામહેસૂલ વિભાગના આદેશ મુજબ રાજ્ય વહીવટી સેવા (જુનિયર સ્કેલ)ના મામલતદારોને સિનિયર સ્કેલમાં બઢતી આપવામાં આવી છે. બઢતી સાથે પગારધોરણમાં વધારો થશે અને જવાબદારીઓમાં પણ વધારો થવાનો છે.તે જ રીતે, પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળના તાલુકા વિકાસ અધિકારીઓને પણ ઉચ્ચ પગારધોરણ (લેવલ-10)માં ઇન-સીટુ બઢતી આપવામાં આવી છે. આ બઢતી તેમને તેમની વર્તમાન જગ્યાએ જ આપવામાં આવી હોવાથી પ્રશાસનિક સ્થિરતા જળવાઈ રહેશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે બઢતી મેળવનાર તમામ અધિકારીઓ પોતાના હાલના કાર્યસ્થળે જ ફરજ બજાવશે. વહીવટી કાર્યક્ષમતા વધારવા અને અધિકારીઓને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. જે 47 અધિકારીઓને બઢતી આપવામાં આવી છે તેઓના નામની યાદી નીચે મુજબ છે.

દિવ્ય ભાસ્કર 12 Feb 2026 10:03 pm

વડોદરામાં એકસાથે એક ડઝન મુખ્યમાર્ગો બંધ:ડ્રેનેજ લાઈનની કામગીરીના કારણે એક મહિના સુધી વાહનવ્યવહાર બંધ, પીક અવર્સમાં ભારે ટ્રાફિકજામથી વાહનચાલકો ત્રસ્ત

વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં એકસાથે ડ્રેનેજલાઇન નાખવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે, જેના કારણે શહેરના એક ડઝન જેટલા મુખ્યમાર્ગો પર વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. કેટલાક માર્ગો એક તરફ ચાલુ છે તો કેટલાકમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેના કારણે શહેરમાં પીક અવર્સમાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે. શહેરીજનો મુખ્યમાર્ગ ઉપર સમય અને ઇંધણ બંનેનો વેડફાટ થઇ રહ્યો હોવાનો અનુભવ કરી રહ્યા છે. બંધ કરાયેલા રોડ પૈકી કેટલાક રોડ એક અઠવાડિયા માટે તો કેટલાક રોડ એક મહિનાથી વધુ સમય સુધી બંધ રાખવામાં આવ્યા છે. પીક અવર્સમાં ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છેવડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં એક સાથે વિવિધ સ્થળોએ ડ્રેનેજ લાઈનના કામો શરુ કરી દેવામાં આવ્યા છે. આંતરમાળખાકીય સુવિધા ઉભી કરવાના હેતુથી આ કામગીરી શરુ તો કરી દેવામાં આવી છે પરંતુ, તેના કારણે શહેરના ટ્રાફિક ઉપર તેની મોટી અસર જોવા મળી રહી છે. શહેરના એક ડઝન જેટલા માર્ગો કાં તો સંપૂર્ણ બંધ કરાયા છે કાં તો મર્યાદિત કરી દેવામાં આવતા વાહનચાલકોએ ટૂંકા રૂટ માટે પણ લાંબુ અંતર કાપવું પડી રહ્યું છે. પીક અવર્સમાં ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વડોદરાવાસીઓએ ધૂળની ડમરીઓ અને ટ્રાફિકના ઘોંઘાટ વચ્ચે પસાર થવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી. સિન્કિંગ પુશિંગ પદ્ધતિથી લાઈનો નાખવામાં આવે છેવડોદરા મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગના એન્જિનિયર હરેશ રાઠવાએ જણાવ્યું હતું કે, હાલમાં શહેરમાં વિવિધ વિસ્તારમાં ડ્રેનેજ લાઈનની કામગીરી કરવામાં આવી રહી છે જે 18 થી 20 ફૂટ ઊંડે ગ્રેવિટી સાથે લાઈન નાખવામાં આવી રહી છે. આ કામગીરી સિન્કિંગ પુશિંગ પદ્ધતિથી કરવામાં આવી રહી છે જેના કારણે રોજ 1 થી 15 મીટર લાઈન નાખવાની કામગીરી થઇ શકે છે. આ તમામ કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ થઇ જશે. સિન્કિંગ પુશિંગ પદ્ધતિ શું છે? અધિકારી હરેશ રાઠવાએ જણાવ્યું કે, પાલિકા દ્વારા ડ્રેનેજ લાઈન નાખવા માટે મોટા કુવા કરી લઈને તેમાં નાખવામાં આવે છે અને ત્યાર બાદ મોટા તેને માટીને ખોતરીને પુશિંગ કરીને પાઇપ નાખવામાં આવે છે. સામાન્ય રીતે એક વર્ષ સુધી આ કામગીરી ચાલતી હોય છે પરંતુ કોર્પોરેશન દ્વારા હાલમાં અંતિમ પોઇન્ટ, શરૂઆતનો પોઇન્ટ અને વચ્ચેના પોઇન્ટ ઉપરથી એક સાથે કામગીરી કરવામાં આવી રહી છે જેથી ત્રણ થી ચાર મહિનામાં આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. શહેરમાં 50થી વધુ સ્થળોએ કામગીરી ચાલે છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના 50 થી વધુ સ્થળોએ ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. જેના કારણે આંતરિક રસ્તાઓ પણ બંધ છે. યોજી વિસ્તારમાં કામગીરી ચાલી રહી હોવાથી ત્યાં ટ્રાફિક વધુ નથી હોતો જેના કારણે વધુ હાલાકી નથી પડી રહી પરંતુ 12 મુખ્ય રસ્તાઓના કારણે વાહનચાલકોએ હાલાકી વેઠવી પડી રહી છે.

દિવ્ય ભાસ્કર 12 Feb 2026 9:43 pm