જીવદયાનો મહાયજ્ઞ:‘તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ’ દ્વારા ગૌમાતા માટે 51 ગાડી ઘાસચારાનું પ્રસ્થાન
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના જન્મોત્સવ (રામનવમી) નિમિત્તે ‘તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ-કચ્છ’ દ્વારા જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. ઉનાળાની આકરી ગરમીમાં અબોલ જીવોને ઘાસચારાની અછતનો સામનો ન કરવો પડે તેવા ઉમદા હેતુથી 51 ગાડી ઘાસ ભરીને મહાગૌસેવા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ટ્રસ્ટના અધ્યક્ષ અને કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી હિતેશભાઈ ખંડોરે જણાવ્યું હતું કે, ખેતી અને પશુપાલન આધારિત કચ્છ પ્રદેશમાં એપ્રિલ, મે અને જૂન મહિનામાં ગૌધનને ઘાસચારાની વિશેષ જરૂરિયાત રહે છે. દર વર્ષે રામનવમીથી આ સેવાનો પ્રારંભ કરાય છે. આ વખતના કાર્યમાં મુખ્ય દાતા વિનોદભાઈ પરસોત્તમભાઈ સોલંકી, કતીરા કન્સ્ટ્રક્શનના હરીશભાઈ કતીરા, સમર્પણ મહિલા મંડળ (માધાપર), જગતભાઇ વ્યાસ તેમજ અન્ય અનેક દાતાઓનો અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયો છે. “જય શ્રી રામ” ના નાદ સાથે ઘાસની ગાડીઓના પ્રસ્થાન પ્રસંગે વિવિધ સમાજ અને સંસ્થાઓના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં દાતા પ્રભુલાલ માવજીભાઈ સોરઠિયા, પૂર્વ મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, નવાવાસના સરપંચ વાલાભાઈ આહીર, દાદુભા ચૌહાણ, અશ્વિનભાઈ લોદરિયા, દિલીપભાઈ કુબડીયા, દિલીપભાઈ ભીંડે, વસંતભાઈ સોની, કુલદીપસિંહ ચૌહાણ, ગિરધરસિંહ વાઘેલા, વિજયભાઈ રાજપૂત, APMC ચેરમેન શંભુભાઈ જરુ, રાણાભાઇ ડાંગર, જીતુભાઈ મહેશ્વરી, પ્રીતિબેન ભટ્ટ, કેતનભાઇ શાહ સહિત અનેક રાજકીય, સામાજિક આગેવાનો તેમજ જૈન સમાજ અને મહિલા મંડળના બહેનોએ વિશેષ હાજરી આપી હતી. હિતેશ ખંડોરે ઉમેર્યું હતું કે, ભગવાન રામના નામે જીવમાત્રનું કલ્યાણ થાય છે. ‘તેરા તુજકો અર્પણ’ના ભાવ સાથે ગાય માતાને આ ઘાસ અર્પણ કરાયું છે. સંસ્થા દ્વારા માત્ર ગૌસેવા જ નહીં, પરંતુ માનવ સેવા, જળ સંચય, સ્કિલ ડેવલપમેન્ટ, વૃક્ષારોપણ, સમૂહ લગ્ન અને શૈક્ષણિક કાર્યો પણ અવિરતપણે ચલાવવામાં આવે છે. વિવિધ ગામોમાં વિતરણઆ 51 ગાડીઓ વાડાસર, સરલી, લોરીયા, સુમારાસર, કુનરિયા, મોરજર, લેર હનુમાન ગૌશાળા, માધાપર નવાવાસ, ભચાઉ, મુન્દ્રા, રાપર, બીદડા, કોટડા, ભુજ પાંજરાપોળ, માનવ મંદિર ગૌશાળા, નથ્થરકુઇ સહિતના કચ્છના અનેક ગામોમાં મોકલવામાં આવી છે.
હત્યારા ઝડપાયા:રાપરમાં માતા-પિતા સામે જ પુત્રની હત્યા કરનાર બે પકડાયા
રાપરના ત્રિકમનગરમાં થયેલી દયારામ ઉર્ફે દયાલ કોળીની હત્યાના કેસમાં પોલીસે ગણતરીના દિવસોમાં જ બે આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે. ઘર પાસે ગાળો બોલવાની ના પાડવા જેવી સામાન્ય બાબતે થયેલી આ હત્યાથી પંથકમાં ચકચાર મચી ગઈ હતી. પીઆઇ જે.બી.બુબડીયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાપર પોલીસ સ્ટેશનમાં ગત તા. 26/03/2026 ના રોજ હત્યાનો ગુનો નોંધાયો હતો. જેમાં મૃતક દયારામ કોળીએ આરોપીઓને પોતાના ઘર પાસે ગાળો બોલવાની અને ત્યાં ન બેસવા માટે ઠપકો આપ્યો હતો. આ બાબતનું મનદુઃખ રાખીને ચારેય આરોપીઓએ સમાન ઇરાદો પાર પાડવા દયારામ સાથે ઝઘડો કર્યો હતો અને મૃતકના માતા પિતાની સામે જ પેટના ભાગે છરીના જીવલેણ ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી હતી. બનાવની ગંભીરતા જોઈને પૂર્વ કચ્છ ગાંધીધામ એસપી સાગર બાગમાર અને ભચાઉ ડીવાયએસપી સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કરાયા હતા. આ દરમિયાન મળેલી બાતમીના આધારે આ હત્યા કરનાર બે મુખ્ય આરોપી દિનેશ તળશી કોળી અને પરબત પ્રતાપ કોળી ને ગણતરીના કલાકોમાં પકડી લીધા હતા. આ કામગીરીમાં રાપર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ એલ.સી.બી. પૂર્વ કચ્છ ગાંધીધામની ટીમ જોડાઈ હતી.
ભાસ્કર એક્સક્લુસિવ:માંડવી પાલિકાએ વેરા વસુલાત ઝુંબેશ તેજ કરી
માંડવી નગરપાલિકામાં ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન વેરા વસુલાતમાં સતત ઘટાડો નોંધાતા તંત્ર માટે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ છે. છેલ્લા ત્રણ વર્ષના આંકડા પર નજર કરીએ તો વર્ષ 2023-24માં 73 ટકા અને 2024-25માં 70 ટકા વસુલાત થઈ હતી, જ્યારે ચાલુ વર્ષ 2025-26માં આ આંકડો ઘટીને માત્ર 60 ટકા સુધી સીમિત રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે હવે નાણાકીય વર્ષ પૂર્ણ થવા માટે માત્ર બે દિવસ જ બાકી રહ્યા હોવાથી નગરપાલિકા તંત્ર દ્વારા લક્ષ્યાંક હાંસલ કરવા માટે પ્રયાસો હાથ ધરાયા છે. નગરપાલિકાની આવકના મુખ્ય સ્ત્રોત એવા પાણી વેરામાં ચાલુ વર્ષના 81 લાખ સહિત કુલ 1.88 કરોડ જેટલી મોટી રકમ બાકી છે. ખાસ નોંધનીય બાબત એ છે કે સામાન્ય નાગરિક માટે વર્ષનો 1200 જેટલો દર છે. જોકે લોકોમાં પાણી વેરો ભરવા પ્રત્યે ઉદાસીનતા જોવા મળી રહી છે, જે તંત્ર માટે ચિંતાનો વિષય બની છે. તે સિવાય લાઇટ વેરામાં ચાલુ વર્ષના 13.44 લાખ અને કુલ 55.25 લાખ બાકી છે, જ્યારે ગટર વેરામાં 37.65 લાખની બાકીદારી છે. પ્રોપર્ટી ટેક્સમાં પણ 1 કરોડથી વધુની રકમ બાકી હોવાનું સામે આવતા નગરપાલિકાની નાણાકીય સ્થિતિ પર સીધી અસર પડી રહી છે. વસુલાત વધારવા માટે નગરપાલિકા દ્વારા આઉટડોરમાં 8 ટીમોને સક્રિય કરવામાં આવી છે, જે શહેરના વિવિધ વિસ્તારોમાં ઘર ઘર જઈને વેરા વસુલાતની કામગીરી કરી રહી છે. અંતિમ સમય નજીક હોવાથી રજાના દિવસોમાં પણ સ્ટાફ પોતાની ફરજ બજાવી રહ્યો છે અને બાકીદારોને ચુકવણી માટે પ્રેરિત કરી રહ્યો છે. કલેક્ટરને પણ લેખીતમાં મામલાની જાણકારી અપાઇબીજી તરફ, વિવિધ સરકારી કચેરીઓ તરફથી પણ વેરાની વસુલાત બાકી રહેતા તંત્રે કડક વલણ અપનાવ્યું છે. આશરે 29 લાખની બાકીદારીને ધ્યાનમાં રાખીને ચીફ ઓફિસર જિગ્નેશ બારોટે કલેક્ટરને લેખિતમાં જાણ કરી છે. અને તાત્કાલિક વસુલાત માટે દખલ કરવાની માંગણી કરી છે. ખાસ કરીને માંડવી પોલીસ સ્ટેશન, રેસીડેન્સી ક્વાર્ટર અને મરીન પોલીસ વિભાગ તરફથી જ 13.57 લાખ જેટલી રકમ બાકી હોવાનું સામે આવ્યું છે. આ બાકીદારી દૂર કરવા માટે વહીવટદાર ભગીરથસિંહ ઝાલા હેડ ક્લાર્ક મનજી પરમાર તેમજ વસુલાત ઇન્સ્પેક્ટર ધવલ જેઠવા, વિપુલ ઝાલા, ભાવિકાબેન મોતીવોરસ, પીંગલ જોશી, જયેશભાઈ ભેદા અને ચેતનભાઈ જોશીના માર્ગદર્શનથી ટીમો સતત મેદાને રહી કામગીરી કરી રહી છે. હવે નજર અંતિમ બે દિવસ પર ટકી છે. જો આ સમયમાં તંત્રને ઇચ્છિત પ્રતિસાદ મળે તો જ નગરપાલિકા લક્ષ્યાંક સુધી પહોંચી શકશે, નહીં તો વસુલાતમાં ઘટાડો તંત્ર માટે આગામી સમયમાં વધુ પડકારો ઉભા કરી શકે છે. આ સરકારી કચેરીઓએ પાલિકાનો વેરોભર્યો નથીનગરપાલિકા હેઠળ વિવિધ સરકારી કચેરીઓમાં વેરાની મોટી રકમ બાકી બોલી રહી છે,જેમાં માંડવી પોલીસ સ્ટેશન 8,01,858, મરીન પોલીસ સ્ટેશન 17,543, પોલીસ ક્વાર્ટર્સ (A,B,C,D, 1થી12) પાણી ચાર્જ 5,38,196, બી.આર.સી. ભવન, 3,81,260, નાયબ કાર્યપાલક ઈજનેર, આર.એન.બી. (પંચાયત), 3,17,942, સલાયા મત્સ્યોધોગ સેવા સ.મી.લી. (I.L. F.S.) 1,46,408, નાયબ કાર્યપાલક ઈજનેર (RB સ્ટેટ), 4,83,226, ગુજરાત પ્રવાસ નિગમ, 60,103, નાયબ કાર્યપાલક ઈજનેર, ક્ષાર અંકુશ વિભાગ 12,416, વેટરનરી ઓફિસર, પશુ દવાખાના, 28,58, વેરા વસુલાત મુજબ નગરપાલિકાને મળશે પ્રોત્સાહક ગ્રાન્ટરાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઠરાવ મુજબ નગરપાલિકાઓને મહેકમ ખર્ચમાં સહાયરૂપ થવા માટે વેરા પ્રોત્સાહક સહાય યોજના અમલમાં મુકાઈ છે. આ યોજના અંતર્ગત નગરપાલિકાની ચાલુ વર્ષની વેરા વસુલાતની ટકાવારીના આધારે ગ્રાન્ટ ફાળવવામાં આવશે. ગ્રાન્ટ ફાળવણીના ધોરણો 60% થી ઓછી વસુલાત 50% સહાય,60% થી 70% વસુલાત 20% સહાય,70% થી 80% વસુલાત 30% સહાય 80% થી 90% વસુલાત 40% સહાય મળી શકે છે.
આગાહી:કચ્છમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી કમોસમી વરસાદનું સંકટ
હવામાન વિભાગે જાહેર કરેલા લેટેસ્ટ આંકડાઓ મુજબ, કચ્છ જિલ્લાના વાતાવરણમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. એક તરફ ગરમીનો પારો વધી રહ્યો છે, તો બીજી તરફ આગામી દિવસોમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબકવાની હવામાન વિભાગે ચેતવણી આપી છે. ગરમીમાં કંડલા એરપોર્ટ પર ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે, જ્યાં મહત્તમ તાપમાન 36.4 C અને લઘુત્તમ 24.8 C નોંધાયું છે. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો અમરેલી 36.7 C સાથે પ્રથમ ક્રમે છે, જ્યારે કંડલા એરપોર્ટ અને અમદાવાદ બંને 36.4 C સાથે ગરમીની બાબતમાં સંયુક્ત રીતે 2જા નંબરે રહ્યા છે. બીજી તરફ, ભુજમાં મહત્તમ તાપમાન 34.0 C અને લઘુત્તમ તાપમાન 24.2 C નોંધાયું છે. આ ઉપરાંત જિલ્લાના અન્ય કેન્દ્રોમાં નલિયા ખાતે મહત્તમ 32.2 C અને લઘુત્તમ 25.2 C, જ્યારે કંડલા પોર્ટ પર મહત્તમ 33.0 C અને લઘુત્તમ 25.0 C તાપમાન નોંધાયું છે કચ્છ માટે આગામી 7 દિવસની હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરાયું છે. તા. 30/03 કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની અને ગાજવીજની સંભાવના છે. 31/03ના વાતાવરણ વધુ બગડવાની શક્યતા છે. આ સમયગાળામાં કચ્છમાં 30 થી 40 kmph ની ઝડપે પવન ફૂંકાવા સાથે વીજળીના કડાકા-ભડાકા અને હળવોથી મધ્યમ વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે. તો 02/04/2026 થી 03/04/2026 ના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવશે. કચ્છના છૂટાછવાયા સ્થળોએ 30 થી 40 kmph ની ઝડપે ફૂંકાતા પવન અને વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 04/04ના કચ્છમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા અથવા મધ્યમ વરસાદની શક્યતા યથાવત રહેશે.એક તરફ આકરી ગરમી અને બીજી તરફ 30 થી 40 kmph ની ઝડપે ફૂંકાતા પવન સાથે વરસાદની આગાહીને પગલે વહીવટીતંત્ર દ્વારા સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
દેશમાં એલપીજી અને ઇંધણની કટોકટી વચ્ચે ભુજમાં જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને LPG/PNG, પેટ્રોલ-ડિઝલ તેમજ આવશ્યક ચીજવસ્તુના પુરવઠાની સમીક્ષા કરવા જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ હતી. જિલ્લાના તમામ રિટેલ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અને ડિઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવી કલેકટરે ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માર્ગદર્શન આપ્યું હતું. પેટ્રોલ અને ડિઝલની અછત અંગે અફવા ન ફેલાય તે માટે પેટ્રોલિયમ કંપનીઓને પોતાના સ્ટાફને યોગ્ય તાલીમ આપવા સૂચના અપાઈ હતી. ઔદ્યોગિક એકમોને સરકારના પરિપત્ર મુજબ જરૂરી જથ્થાની ફાળવણી કરાશે, ભાવમાં નિયમન જળવાય તે બાબતે સૂચના આપી હતી. હોસ્ટેલ તથા હોસ્પિટલો માટે LPGનો પૂરતો જથ્થો હોવાનું સબંધિત અધિકારીઓએ જણાવ્યું હતું. શ્રમયોગીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને 5 કિલોના કોમર્શિયલ LPG બોટલ ઉપલબ્ધ કરાવાઈ રહ્યા હોવાનું જણાવાયું હતું. PNG કનેક્શનનો વ્યાપ વધારવા ગુજરાત ગેસને જણાવાયું હતું. PNG નેટવર્કના વિસ્તરણ માટે સંબંધિત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ દ્વારા અપાતી મંજૂરી 24 કલાકમાં જારી કરાય તે માટે તાકીદ કરાતા ભુજ શહેરમાં 40 મંજૂરી અપાઈ છે અને માંડવી તાલુકાની 9 અરજીને મંજૂરી આપી દેવા સૂચના અપાઈ હતી.બેઠકમાં પોલીસ વડા વિકાસ સુંડા, પુરવઠા અધિકારી અર્શ હાશ્મી તેમજ સંબંધિત વિભાગોના વડા ઉપરાંત પેટ્રોલિયમ કંપનીઓના પ્રતિનિધિ હાજર રહ્યા હતા. ખેડૂતોને ખાતર મળી રહે તે માટે તાકીદખેડૂતોને વાવણીની સીઝનમાં સરળતાથી ખાતર મળી રહે તે માટે જિલ્લા ખેતીવાડી અધિકારીને સૂચના અપાઈ છે યુરિયા ખાતરનો જથ્થો ખેડૂતો સુધી જ પહોંચે તે સુનિશ્ચિત કરવા વિતરણ વ્યવસ્થા સુદ્રઢ બનાવવા તથા વિતરણ પ્રક્રિયા પર પૂરતી વોચ ગોઠવવા કલેક્ટરે જણાવ્યું છે.
મંડે પોઝિટીવ:આખરે ભુજને ટ્રાફિક મુક્ત કરવા 21 કિ.મી. લાંબા બાયપાસ માટેની પ્રક્રિયા શરૂ કરાઈ
ભુજ શહેરમાં લાંબા સમયથી બાયપાસના અભાવે રોજેરોજ ટ્રાફિકની ગંભીર સમસ્યા રહે છે. ભારે વાહનોના પ્રવેશને નિયંત્રિત કરવા માટે પોલીસ અને વહીવટી તંત્રને વારંવાર જાહેરનામા બદલવાની નોબત આવે છે. વર્ષ 2001ના વિનાશક ભૂકંપ સમયે શહેરના પુનર્વસનમાં દૂરંદેશીતા ન વાપરી બાયપાસના નિર્માણ અંગે કોઈ નક્કર કામગીરી કરવામાં આવી ન હતી. પરંતુ, આખરે હવે સરકાર જાગી છે અને ભુજની આ જટિલ સમસ્યાના કાયમી ઉકેલની દિશામાં એક મોટું પગલું ભર્યું છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભુજ સિટી બાયપાસ માટે જમીન સંપાદનની કામગીરી કરવા કન્સલ્ટન્ટ નીમવા માટેનું સત્તાવાર ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આગામી 10 મહિનામાં જમીન સંપાદનનું કાર્ય પૂર્ણ કરવાની તૈયારીઆ બાયપાસના જમીન સંપાદન અને કન્સલ્ટન્સી વર્ક માટે સરકારે 114.64 લાખ રૂપિયાની અંદાજિત રકમ નક્કી કરી છે.આ પ્રોજેક્ટની કામગીરી 10 મહિનાના સમયગાળામાં પૂર્ણ કરવાની રહેશે. ભૂકંપના અઢી દાયકા બાદ આખરે વહીવટી તંત્ર દ્વારા લેવાયેલું આ પગલું આવકારદાયક છે. આગામી 10 મહિનામાં જમીન સંપાદનની આ જટિલ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખરા અર્થમાં રોડ નિર્માણનું કાર્ય વેગ પકડશે, જે ભવિષ્યમાં ભુજ શહેરને ટ્રાફિકની ગૂંચવણમાંથી કાયમી મુક્તિ અપાવશે. ક્યાંથી પસાર થશે અને કેટલો લાંબો હશે બાયપાસ?સત્તાવાર દસ્તાવેજોનું વિશ્લેષણ કરતા માલુમ પડે છે કે, આ સૂચિત બાયપાસ પ્રોજેક્ટ કુલ 21 કિલોમીટર લાંબો હશે, જેની ચેનેજ 0/000 થી 21/000 સુધીની નક્કી કરવામાં આવી છે. આ બાયપાસ ભુજ-નખત્રાણા, ભુજ-માંડવી, ભુજ-મુંદ્રા અને ભુજ-ભચાઉ રોડને એકબીજા સાથે જોડતો એક મહત્વપૂર્ણ માર્ગ બની રહેશે. રૂટની વાત કરીએ તો આ 21 કિ.મી. લાંબો બાયપાસ ભુજોડી, માધાપર, ભુજ શહેર, સુખપર અને મિર્ઝાપર ગામોની સીમમાંથી પસાર થશે ટેન્ડરની ટેકનિકલ વિગતો: શું-શું કામગીરી થશે ?હાલ કામગીરી રોડ બનાવવાની નથી, પરંતુ રોડના નિર્માણ માટે જરૂરી એવી અંદાજે 45 હેક્ટર જમીનનું સંપાદન કરવા માટે એક નિષ્ણાત કન્સલ્ટન્ટ એજન્સી નીમવાની છે. નિયુક્ત થનાર એજન્સી દ્વારા જમીનનો સર્વે કરવો અને ડિજિટલ કેડસ્ટ્રલ મેપિંગ (નકશા) તૈયાર કશશે. પ્રોજેક્ટથી પ્રભાવિત થતા માળખાઓની ઓળખ કરી બચાવવાનો પ્રયાસ કરવો અને સોશિયલ ઈમ્પેક્ટ એસેસમેન્ટ કરશે. ખેડૂતો કે જમીન માલિકો સાથે પરામર્શ કરાશે. જમીન સંપાદન કાયદા મુજબ સરકારના વિવિધ વિભાગોમાં જાહેરનામા અને નોટિફિકેશન બહાર પાડવાની અને મંજૂરીની તમામ પ્રક્રિયા પૂરી કરવી, તમામ કાનૂની અને મહેસૂલી પ્રક્રિયાઓપૂરી કરી, RB વિભાગને તમામ પ્રકારના વિવાદોથી મુક્ત એવી ક્લિયર જમીન હસ્તાંતરિત કરાવવાની રહશે.
ડો.પ્રદ્યુમન વાજાનો સન્માન સમારોહ યોજાયો:સમાજના ઉત્થાન માટે શિક્ષણ પાયાની જરૂર : મંત્રી ડો.વાજા
ભાવનગર શહેરના શિવશક્તિ હોલ ખાતે સમાજના શૈક્ષણિક સશક્તિકરણ માટે ગુજરાત સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની આવક મર્યાદા રૂ. 2.5 લાખથી વધારીને રૂ.6 લાખ કરવાનો ઐતિહાસિક નિર્ણય અંતર્ગત સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ-દલિત અધિકાર સંઘ, ભાવનગર દ્વારા રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ડો.પ્રદ્યુમન વાજાનો સન્માન સમારોહ યોજાયો હતો. તેમાં મંત્રીએ જણાવ્યું હતુ કે સરકાર છેવાડાના માનવી સુધી સામાજિક ન્યાય અને કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા માટે કટિબદ્ધ છે. તેમણે દલિત અધિકાર સંઘ અને શૈક્ષણિક સંસ્થાઓની સામાજિક જાગૃતિ લાવવાની કામગીરીને બિરદાવી હતી અને સમાજના ઉત્થાન માટે શિક્ષણને પાયાની જરૂરિયાત ગણાવી હતી. મંત્રીએ વધુમાં જણાવ્યુ હતું કે, રાજ્ય સરકાર દ્વારા માત્ર શિષ્યવૃતિ જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આદર્શ નિવાસી શાળાઓ અને સમરસ હોસ્ટેલ જેવી પાયાની સુવિધાઓમાં પણ નોંધપાત્ર સુધારો કરવામાં આવનાર છે. વર્તમાન સમયની જરૂરિયાતને ધ્યાને રાખી ગુજરાત સરકાર શાળાકીય શિક્ષણની સાથે ઇનોવેટિવ શિક્ષણ પર વિશેષ ધ્યાન આપી રહી છે. આ તકે જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા મંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. બાળકો પ્રાર્થના, ગીતાના પાઠ કરાયા હતા તેમજ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પામેલા સમાજના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
લોકાપર્ણ:240 લાખનાં ખર્ચે નિર્માણાધીન ઈન્દિરાનગરની શાળાનું લોકાપર્ણ
શહેરના ઈન્દિરાનગર વિસ્તારમાં રૂ.240 લાખનાં ખર્ચે નિર્માણ પામેલી વીર હમીરજી ગોહિલ પ્રાથમિક શાળાનું લોકાર્પણ ગુજરાત સરકારના સામાજિક અને ન્યાય અધિકારીતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ તેમજ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ કર્યું હતું. આ નવીન શાળા આધુનિક સુવિધાઓથી સજ્જ બની વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર અને સુખદ શૈક્ષણિક વાતાવરણ પૂરૂં પાડશે. ડૉ.પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, દેશનું ભવિષ્ય વર્ગખંડોમાં ઘડાય છે અને આજના વિદ્યાર્થીઓ વિકસિત ભારતના મજબૂત આધારસ્તંભ બનવાના છે. શાળા માત્ર ચાર દિવાલોનું માળખું નથી, પરંતુ એક પવિત્ર વિદ્યામંદિર છે, જ્યાં જ્ઞાન સાથે સંસ્કાર અને જીવનમૂલ્યોનું સિંચન થાય છે. પ્રાથમિક શિક્ષણને જીવનનો મહત્વપૂર્ણ તબક્કો ગણાવતા તેમણે જણાવ્યું કે, શિક્ષણનો હેતુ માત્ર ગુણ મેળવવાનો નથી, પરંતુ જીવન જીવવાની કળા વિકસાવવાનો છે. શાળામાંથી જ સત્ય, અહિંસા, સદાચાર, વડીલો પ્રત્યે આદર અને દેશપ્રેમ જેવા મૂલ્યોનું સિંચન થાય છે. આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સર્વાંગી વિકાસને વેગ મળ્યો છે અને શિક્ષણક્ષેત્રે વ્યાપક સકારાત્મક પરિવર્તનો જોવા મળી રહ્યા છે. વિદ્યાર્થીઓને અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બની રહી છે. નવનિર્મિત શાળામાં 18 વર્ગખંડો, અદ્યતન લાઈબ્રેરી, સાયન્સ લેબ, કમ્પ્યુટર લેબ, સ્માર્ટ રૂમ, ડિજિટલ બોર્ડ, રમતગમત માટેનું સંકુલ તેમજ દિવ્યાંગજનો માટે વિશેષ શૌચાલય જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શાળાના લોકાર્પણ પ્રસંગે મ્યુ. કમિશનર ડૉ. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પઢેરીયા, પૂર્વ મેયર કિર્તીબેન દાણીધારીયા, આચાર્ય ભરતભાઈ પરમાર, SMC સમિતિના સભ્યો, વિદ્યાર્થીગણ તથા ઈન્દીરાનગરના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આજે બાયપોલર દિવસ:ભારતમાં 150 લોકોએ 1 વ્યક્તિ આ રોગનો દર્દી : 70% સારવારથી વંચિત
આવતી કાલ તા.30 માર્ચનો દિવસ વિશ્વ બાયપોલર દિવસ તરીકે ઉજવાશે. વિખ્યાત ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોગના જન્મદિવસ પર દર વર્ષે આ દિવસ ઉજવાય છે. તેઓ આ બીમારીથી પીડાતા હતા. બાયપોલર ડિસઓર્ડર એ એક માનસિક બીમારી છે. આ રોગથી પીડિત વ્યક્તિના મૂડમાં ઝડપથી ફેરફાર થાય છે. નેશનલ મેન્ટલ હેલ્થ સર્વે મુજબ, ભારતમાં દર 150 વ્યક્તિએ 1 વ્યક્તિ (આશરે 0.3 %) આ રોગથી પ્રભાવિત છે. એટલે કે 2026મા઼ દેશમાં 93 લાખ દર્દીઓ આ રોગગ્રસ્ત છે. વિશ્વ આરોગ્ય સંસ્થા મુજબ ઇ.સ.2021માં અંદાજે 3.7 કરોડ લોકો આ રોગના દર્દી હતા. આ રોગમાં દર્દીને બે પ્રકારની માનસિક સ્થિતિ હોય છે. એક પ્રકારની માનસીક સ્થિતિને મેનિક એપિસોડ કહેવાય છે જેમાં વ્યક્તિ ખૂબ ઉત્સાહિત રહે છે, કાર્યક્ષમતામાં વધારો, શારીરિક અને માનસિક પ્રવૃત્તિમાં વધારો,ઝડપી અને જોખમી નિર્ણય લેવા,વધુ પડતું બોલવું,ઊંઘની ઉણપ,એકાગ્રતામાં મુશ્કેલી, કારણ વગર ગુસ્સે અને ચીડિયા થવું,પોતાની જાતને વધુ મહત્વ આપતી લાગણીઓ, ખૂબ પૈસા વાપરવા વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. જ્યારે બીજા પ્રકારમાં ડિપ્રેશનના લક્ષણો જોવા મળે છે જેમાં હતાશા,ઉદાસી,કાંઈ ગમવું નહિ, આત્મહત્યાના વિચારો વગેરે લક્ષણો જોવા મળે છે. જો કોઈ વ્યક્તિમાં આવા લક્ષણો જણાય, તો માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. ઘણા કિસ્સાઓમાં આ રોગનું નિદાન મોડું થાય છે અથવા તો લોકો સારવાર લેતા નથી. ભારતમાં અંદાજિત 70 % દર્દીઓ હજુ પણ સારવારથી વંચિત છે. આ રોગથી કેવી રીતે બચવુંજો કોઈ વ્યક્તિમાં આ રોગના લક્ષણો હોય તો તેને જાગૃત કરો. તેને બીમારી વિશે કહો. બીમાર વ્યક્તિને સુરક્ષિત વાતાવરણમાં રાખો. સારવાર માટે ડોક્ટર પાસે તરત જાઓ.આ બીમારીમાં વ્યક્તિને પરિવારના લોકોની હૂંફની જરૂર હોય છે તો એ બાબતે પણ ધ્યાન દોરવું જોઈએ. યોગ્ય સમયે નિદાન અને સારવાર દ્વારા આ સ્થિતિને સફળતાપૂર્વક નિયંત્રિત કરી શકાય છે. > ડો.શૈલેષ જાની, સાઇકિયાટ્રિસ્ટ બાયપોલર ડિસઓર્ડરના કારણોઆ રોગના કારણોમાં પારિવારિક(જેનેટિક ) ઇતિહાસ, પર્યાવરણીય પરિબળો, ખરાબ સંબંધો, છૂટાછેડા, વ્પસ રિવારમાં કોઈનું મૃત્યુ, ગંભીર બીમારી અને પૈસાની સમસ્યા આ રોગના મુખ્ય કારણો છે.
નેશનલ ટીવીમાં ધૂમ મચાવશે ભાવેણાના ભૂલકાંઓ:ટીવીમાં ઝળકશે ભાવનગરના બે પ્રતિભાશાળી બાળ કલાકારો
ન્યુઝ 18 ગુજરાતી દ્વારા વાયરલનો વાયરો કાર્યક્રમ પ્રસારિત થાય છે. જેમાં બાળ પ્રતિભાવોના વાયરલ વીડિયોને સમાવવામાં આવે છે. ભાવનગરનો 9 વર્ષનો ધોરણ 2 માં અભ્યાસ કરતો માનસ દવે કે જે સંસ્કૃતમાં ગીતાજી અને અન્ય સ્તોત્રોમાં સિદ્ધહસ્ત છે તથા તબલાનું પ્રશિક્ષણ લઈ રહ્યો છે તેની તબલા પ્રસ્તુતિ સાથે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનો અને હાલ વડોદરામાં રહેતો 7 વર્ષનો બાલમંદિરમાં અભ્યાસ કરતો નિમિશ ભટ્ટ કે જે ધાર્મિક સ્તોત્રનો સારું એવું મુખપાઠ કરે છે આ બંને બાળકો મહિષાસુર મર્દિની સ્તોત્રનું સંગીતમય ગાન કરી ખાસ્સી એવી લોક ચાહના મેળવી છે. દવે માનસની યુ ટ્યુબ ચેનલ માનસ દવે ઓફિશિયલ દ્વારા ચેનલમાં ધૂમ મચાવી રહ્યો છે. આ બાળકો ધાર્મિક સ્તુતિઓ, સ્તોત્રો, ભજનો અને ગીતાજીનો ખાસ્સો એવો પ્રચાર કરવામાં હાલ પ્રવૃત્ત છે. આ બાળકો અન્ય બાળકો માટે પણ પ્રેરણા રૂપ બની રહ્યા છે. આગામી તારીખ 31 માર્ચ ને મંગળવારના રોજ ન્યુઝ 18 ગુજરાતી પર પ્રસારિત થનાર વાયરલ નો વાયરો કાર્યક્રમ અંતર્ગત રાત્રે 8 24 કલાકે ભાવનગરનું નામ સમગ્ર ગુજરાતમાં ઉજાગર કરનાર આ બંને બાળકોને જોવાનું ભૂલશો નહીં.
વેધર રિપોર્ટ:બપોર બાદ આછા વાદળો સાથે 26 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો
ભાવનગર શહેરમાં આજે પવનના સૂસવાટા ફૂંકાતા રહ્યા હોય અને ભેજવાળા પવન હોય શહેરમાં બપોરે તાપમાનમાં ઘટાડો થતા નગરજનોને ગરમીમાં રાહત મળી હતી. શહેરમાં બપોર બાદ આછા વાદળો સાથે 26 કિલોમીટરની ઝડપ પવન ફૂંકાયો હતો આથી બપોરના સમયે ગરમી ઘટી ગઇ હતી. તાપમાનમાં 2.4 ડિગ્રીના ઘટાડા સાથે શહેરમા઼ મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 25.2 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ. રાજ્યમાં 31 માર્ચથી 3 એપ્રિલ સુધી માવઠાની આગાહી છે. જેથી 5 દિવસ શહેરીજનોને ગરમીથી રાહત મળશે. જો કે રાહતના સમાચાર એ છે કે ભાવનગરમાં માવઠાની આગાહી નથી. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન વધીને 37.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ તેમાં હવે ભેજવાળા પવન ફૂંકાતો રહેતા શહેરમાં આજે એક જ દિવસમાં મહત્તમ તાપમાન 2.4 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 35.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. બપોરે સામાન્ય કરતા 1.9 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન ઓછું નોંધાયુ હતુ. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 24.6 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે નજીવું વધીને 25.2 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. આજે સવારે શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ વધીને 70 ટકા હતુ તે સાંજે પણ 50 ટકા રહ્યું હતુ. વાદળો વચ્ચે શત્રુંજય પર્વતમાળાનો નજારોગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે ભર ઉનાળે અષાઢી માહોલ જામ્યો હોય તેમ વાદળોની વચ્ચે શત્રુંજય પર્વતમાળાનો નજારો જોવા મળ્યો હતો. ગુજરાતના અમુક વિસ્તારોમાં માવઠાની આગાહીવેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ફરી વાતાવરણ પલટાયું છે અને 30 માર્ચે ‘થંડરસ્ટોર્મ એક્ટિવિટી’ પ્રબળ રહેશે, એટલે કે ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી શકે છે. રાહતની વાત માત્ર એટલી જ છે કે આ માવઠાની તીવ્રતા અગાઉ કરતા ઓછી રહેશે પરંતુ ખેડૂતો માટે ફરી ચિંતાના વાદળો ઘેરાયા છે.
ઈજાગ્રસ્તો માટે સારા સમાચાર:ઈજાગ્રસ્તોને સર ટી.હોસ્પિ.માં હવે મળશે PM રાહત યોજનાનો લાભ
ગુજરાતમાં તાજેતરમાં માર્ગ અકસ્માતના કિસ્સામાં ઇજાગ્રસ્તો માટે પી.એમ. રાહત (પી.એમ. રોડ ઍક્સિડન્ટ વિક્ટિમ્સ હોસ્પિટલાઇઝેશન એન્ડ એશ્યોર્ડ ટ્રીટમેન્ટ) યોજના અમલમાં મુકવામાં આવી છે. પી.એમ. રાહત યોજનામાં માર્ગ અકસ્માતના પીડિતોને અકસ્માતથી એક કલાક દરમિયાન (ગોલ્ડન અવરમાં) રૂ.1.50 લાખ સુધીની કૅશલેસ સહાય અને 7 દિવસ સુધીની નિઃશુલ્ક તબીબી સારવાર મળે છે. પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)ના પોર્ટલમાં પી.એમ. રાહત યોજનાનો ઉમેરો કરતા માર્ગ અકસ્માતના કિસ્સામાં ઇજાગ્રસ્તોને ભાવનગર સર.ટી. હોસ્પિટલ સારવાર મળશે. સર ટી હોસ્પિટલના તત્કાલ સારવાર વિભાગમાં માર્ગ અકસ્માતના કિસ્સામાં સરેરાશ 3500થી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવતી હોય છે. જિલ્લા કક્ષાની સૌથી મોટી ભાવનગર સર.ટી. હોસ્પિટલમાં 10મી માર્ચ-2026થી પી.એમ. રાહત યોજના અંતર્ગત હવે માર્ગ અકસ્માતના કિસ્સામાં ઇજાગ્રસ્તોને સારવાર આપવાનું શરૂ કરાયું છે ત્યારે અકસ્માતના કિસ્સામાં સર.ટી. હોસ્પિટલના તત્કાલ સારવાર વિભાગમાં સારવાર્થે આવતા દર્દીઓ ઉપરાંત અન્ય દર્દીઓને રૂ.1.50 લાખ સુધીની કૅશલેસ સહાય અને 7 દિવસ સુધીની નિઃશુલ્ક તબીબી સારવારનો લાભ મળશે. માર્ગ અકસ્માતના કેસમાં દર્દીઓને લાભ મળશેઆયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના હેઠળ નોંધાયેલા સરકારી હોસ્પિટલોમાં પી.એમ. રાહત યોજના લાગુ કરવામાં આવી છે. ભાવનગર શહેર અને જિલ્લામાં પી.એમ. રાહત યોજના અન્વયે ભાવનગર સર.ટી. હોસ્પિટલમાં માર્ગ અકસ્માતના કેસમાં દર્દીઓને લાભ મળશે. આ યોજના અંતર્ગત હજારો અકસ્માત ગ્રસ્ત દર્દીઓને લાભ થશે. > ડો.અભયસિંઘ ચંદેલ, નોડલ ઓફિસર, પી.એમ રાહત યોજના માર્ગ અકસ્માતના નોંધાયેલ કેસો ◾વર્ષ-2024 3698 કેસ◾વર્ષ-2025 4048 કેસ◾ વર્ષ-2026 917 કેસ (તા.28મી ફેબ્રુઆરીની સ્થિતિ મુજબ)
અંલગ માટે આયોજન:મેગા પ્લાન : રિસાયકલિંગના શિપ માટે 40% ક્રેડિટ
વિશ્વના જહાજ માલિકોને તેમના આયુષ્યના અંતિમ પડાવમાં પહોંચી ચૂકેલા જહાજોને ગુજરાતના અલંગ શિપ રીસાયક્લિંગ યાર્ડમાં મોકલવા માટે પ્રોત્સાહિત કરવા અને સાથે સાથે દેશમાં શિપ બિલ્ડિંગ ઉદ્યોગને ગતિ આપવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પહેલ કરી છે. સરકાર દ્વારા શિપ રીસાયક્લિંગ માટે નવી ક્રેડિટ નોટ સિસ્ટમ અમલમાં લાવવામાં આવી છે, જે એક સાથે બે હેતુ સિદ્ધ કરતી યોજના તરીકે જોવામાં આવે છે. શિપિંગ મહાનિર્દેશાલય (DG શિપિંગ)એ જણાવ્યું છે કે જહાજ રીસાયક્લિંગ માત્ર જહાજના જીવનનો અંત નથી, પરંતુ ઔદ્યોગિક અને આર્થિક વિકાસના નવા ચક્રની શરૂઆત છે. નવી નીતિ અંતર્ગત શિપ રીસાયક્લિંગને જહાજ નિર્માણ સાથે સંકલિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે દેશના દરિયાઈ ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે. આ યોજના મુજબ, જે જહાજ માલિકો તેમના જૂના જહાજોને અધિકૃત અલંગ યાર્ડમાં રીસાયકલ કરવા મોકલે છે, તેઓને જહાજના સ્ક્રેપ મૂલ્યના 40 ટકા સુધીની ક્રેડિટ નોટ આપવામાં આવશે. આ ક્રેડિટનો ઉપયોગ તેઓ ભારતના શિપયાર્ડમાં નવા જહાજોના નિર્માણ માટે નાણાકીય સહાય તરીકે કરી શકશે. આ પહેલ શિપ બિલ્ડિંગ ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ પોલિસી (SBFAS) સાથે સંકળાયેલી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ નીતિ રીસાયકલ ઇન ઈન્ડિયા, બિલ્ડ ઇન ઈન્ડિયાનો સ્વ-ટકાઉ ઔદ્યોગિક ચક્ર ઉભું કરશે. આથી સ્થાનિક ઉદ્યોગોમાં ફરીથી રોકાણ વધશે અને દરિયાઈ ક્ષેત્રમાં સતત વૃદ્ધિ શક્ય બનશે. પર્યાવરણના દ્રષ્ટિકોણથી પણ આ યોજના મહત્વપૂર્ણ છે. આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર સુરક્ષિત અને પર્યાવરણીય રીતે યોગ્ય રીસાયક્લિંગને પ્રોત્સાહન મળશે, જે ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠાને વધારશે. સાથે સાથે ભારતીય શિપયાર્ડ માટે નવા ઓર્ડર અને માંગ ઊભી થશે. ડીજી શિપિંગના જણાવ્યા મુજબ, આ ક્રેડિટ નોટ યોજના ભારતને ભવિષ્યમાં વૈશ્વિક શિપ રીસાયક્લિંગ અને શિપ બિલ્ડિંગ હબ બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આલ્કોક એશડાઉનનો સોદો, સમય મહત્વપૂર્ણભાવનગરની એક સમયથી અગ્રણી શિપ બિલ્ડિંગ-રિપેરિંગ કંપની આલ્કોક એશડાઉન ફડચામાં ગયા બાદ તાજેતરમાં હરાજીમાં તેનું વેચાણ થઇ ચૂક્યુ છે. શિપ રીસાયકલિંગની 40 ટકા ક્રેડિટ નોટ શિપ બિલ્ડિંગમાં પરિવર્તિંત કરી શકાય તેના માટે અલંગનું એક અગ્રણી શિપ બ્રેકિંગ જૂથ આલ્કોકની ખરીદીમાં સાયલન્ટ પાર્ટનર તરીકે જોડાયુ છે, તબક્કાવાર આ જૂથ કોન્સોર્ટિયમમાં સત્તાવાર રીતે સામેલ થઇ શકે છે. ભાસ્કર એક્સપર્ટરોજગાર સર્જન, રોકાણમાં વધારો થશેશિપ રીસાયકલિંગની ક્રેડિટ નોટ સીસ્ટમ રોજગાર સર્જન, ટેકનોલોજી વિકાસ અને ખાનગી રોકાણમાં વધારો લાવશે. ઉપરાંત, રીસાયકલ કરેલી સામગ્રીનો પુનઃઉપયોગ થવાથી કાચા માલની આયાત પર નિર્ભરતા ઘટશે. ક્રેડિટ નોટનો ઉપયોગ કરવા ભારતમાં જ જહાજ નિર્માણ કરવા પડશે તેથી રોજગારી અને આનુષંગિક ઉદ્યોગોને લાભ થશે. - એ.પી.પરિખ, શિપિંગ-મરિન એક્સપર્ટ
એર કનેક્ટિવીટી:હવે ભાવનગર હવાઇ માર્ગે દેશ અને દુનિયા સાથે જોડાશે
ભાવનગર એરપોર્ટ ખાતેથી આજે રવિવારે ભાવનગર અને નવી મુંબઈ વચ્ચે સીધી ફ્લાઇટ સેવાનો આરંભ કરાવતાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ ભાવનગર એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહીને આ પ્રથમ ફ્લાઈટને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રથમ ફ્લાઇટમાં અન્ય મુસાફરો સાથે 30 દિવ્યાંગ મુસાફરોએ ઉત્સાહભેર મુસાફરી કરી હતી. ભાવનગર-નવી મુંબઈ ફ્લાઇટનું વોટર સેલ્યુટ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું . કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુ તથા કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, રાજ્યના કેબિનેટ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય સેજલબેન પંડ્યા અને ગૌતમભાઈ ચૌહાણની ઉપસ્થિતિમાં ભાવનગર-નવી મુંબઈ ફ્લાઇટનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. આ તકે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને વખતોવખત ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા દ્વારા ભાવનગરને એર કનેક્ટિવિટી ફાળવવા માટેની દરખાસ્તો મળતી રહી હતી. જેના અનુસંધાને આજરોજ ભાવનગરથી નવી મુંબઈ વિમાની સેવાનો આરંભ થઈ રહ્યો છે. ભાવનગરથી નવી મુંબઈની કનેક્ટિવિટી એ માત્ર લોકલ કનેક્ટિવિટી નથી પરંતુ આ એર કનેક્ટિવિટીથી ભાવનગર દેશ અને દુનિયા સાથે જોડાઈ રહ્યું છે. સવારે 8.35 કલાકે અને રાત્રે 8.50 વાગ્યે ફ્લાઇટ ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા આ રૂટ પર દરરોજ સવાર અને સાંજ એમ બે ફ્લાઇટ સંચાલિત કરવામાં આવશે. જેમાં સવારે 8.35 કલાકે અને રાત્રે 8.50 વાગ્યે એમ બે ફ્લાઇટ નવી મુંબઈ માટે ઉડાન ભરશે. આ નવી હવાઈ સુવિધા ઉપલબ્ધ થવાથી ભાવનગરના વિવિધ ઉદ્યોગ, વ્યાપાર અને પ્રવાસન ક્ષેત્રને મોટો ફાયદો થશે તેમજ નવી મુંબઈ મારફતે અન્ય મહાનગરો સાથેની કનેક્ટિવિટી પણ સરળ બનશે.
વેદનો કોઈ વિકલ્પ નથી, તેથી વેદની રક્ષા કરવી અનિવાર્ય છે. ભગવાનના શ્વાસમાંથી વેદનો પ્રાદુર્ભાવ થયો છે, જેનો અર્થ છે કે વેદ ભગવાન પહેલાં અસ્તિત્વમાં હતા. દરેક મનુષ્ય સુખની કામના કરે છે અને સાચું સુખ ધર્મ દ્વારા જ પ્રાપ્ત થાય છે. વેદ સંમત કાર્ય જ ધર્મ છે, તેથી અલૌકિક સુખની પ્રાપ્તિ માટે વેદની આવશ્યકતા છે તેમ દ્વારકા શારદાપીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ જણાવ્યું હતું. શંકરાચાર્યજીએ વેદની મહત્તાની સાથે આધુનિક સમયના પ્રશ્નોની ચર્ચા કરી હતી. તેમણે ગાયને પશુની શ્રેણીમાંથી મુક્ત કરી ‘ગાય માતા’ તરીકેનો દરજ્જો આપવા માગ કરી હતી. મહારુદ્ર હનુમાન સંસ્થા ખાતે સોમવારથી શરૂ થનારા ‘ચતુર્વેદ મહાનુષ્ઠાન’ના ઉપલક્ષમાં રવિવારે ધર્મસભા યોજાઈ હતી. સભામાં શંકરાચાર્યજીએ માનવ જીવનમાં વેદના મહત્વનું વિસ્તૃત વર્ણન કર્યું હતું. આ પ્રસંગે બાલાજી મંદિરના મહંત વેંકટેશાચાર્યજીએ પણ જણાવ્યું હતું કે, માણસના સંકલ્પ અને વિકલ્પ ઈશ્વરની ઈચ્છાથી જ પૂર્ણ થાય છે. નાચ-ગાન માટે ઉમટતું શહેર વેદ માટે નીરસધર્મસભામાં પાંખી હાજરી અંગે ચિંતા વ્યક્ત કરતા જગદગુરુએ જણાવ્યું હતું કે, જો આગામી પેઢીને વેદના સંસ્કાર આપવામાં આવે, તો તેઓ લાંબુ આયુષ્ય વેદમય જીવશે. નેતાઓ અને ફિલ્મી કલાકારોને જોવા માટે અડધું શહેર ઉમટી પડે છે, પરંતુ વેદ સાંભળવા માટે શહેરના 2,500 લોકો પાસે પણ સમય નથી. સરહદ અને ક્રિકેટમાં આરક્ષણ કેમ નથી?આરક્ષણ મુદ્દે પ્રશ્ન ઉઠાવતા જગદગુરુએ જણાવ્યું હતું કે, હું આરક્ષણનો વિરોધી નથી, પરંતુ યોગ્યતા વગર ગમે તેને ગમે તે સ્થાન પર બેસાડવામાં આવે છે તે યોગ્ય નથી. તેમણે સરકાર સામે સવાલ કર્યો હતો કે, સરહદ પર અને ક્રિકેટમાં આરક્ષણ કેમ રાખવામાં આવતું નથી? ત્યાં આરક્ષણ એટલા માટે નથી કારણ કે ત્યાં અયોગ્ય વ્યક્તિ ન ચાલે. સત્તા મળ્યા બાદ નેતાઓ ધર્મ નિરપેક્ષ બની જાય છેરાજકારણ પર કટાક્ષ કરતા જગદગુરુએ જણાવ્યું હતું કે, તમે જે નેતાને ચૂંટીને મોકલો છો, તેઓ સત્તા પર આવ્યા પછી ધર્મ નિરપેક્ષ બની જાય છે. રાજા જ્યારે ધર્મ નિરપેક્ષ થાય અને સનાતન ધર્મને અવગણે, ત્યારે આપણે વિચારવું જોઈએ કે આપણે કઈ તરફ જઈ રહ્યા છીએ.
શહેરમાં વાતાવરણમાં પલટો આવતાં વાદળો છવાયાં હતાં. જ્યારે બપોરે વાદળો સીધી રેખામાં ગોઠવાયેલાં હોય તેવી રચના દેખાઈ હતી. હવામાન વિભાગના નિષ્ણાતો આ રચનાને ઓલ્ટોક્યુમુલસ કે સિરોક્યુમ્યુલસ કહે છે. હવામાન શાસ્ત્રી મુકેશ પાઠકે કહ્યું કે, વાદળો કેટલી ઊંચાઈ પર છે, પવનની ગતિ અને દિશાના આધારે વાદળોની પેટર્ન રચાય છે. શહેરમાં સીધા પટ્ટામાં દેખાતાં વાદળો ઓલ્ટોક્યુમુલસની રચના કહી શકાય છે. મારા કામની વાત ઓલ્ટોક્યુમ્યુલસ વાદળો પાણીનાં ટીપાંનાં બને છે
સમિતિની શાળામાં સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવા જે સંસ્થાને કોન્ટ્રાક્ટ અપાયો તે યોગ્ય નથી, તેવા આક્ષેપ સાથે ગુજરાત વાડોકાઇ કરાટે ડો એસોસિયેશન, વડોદરાના પ્રમુખે સમગ્ર શિક્ષાના પ્રોજેક્ટ ડાયરેક્ટરને પત્ર લખ્યો છે. જેમાં આક્ષેપ કર્યો છે કે, આ સંસ્થાને જેમ પોર્ટલ પર ડિસ્કવોલિફાઇ કરાઈ હતી. સમિતિની શાળાઓમાં વિદ્યાર્થિનીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવા વાર્ષિક કોન્ટ્રાક્ટ અપાય છે. જેમાં શાસનાધિકારી સહિતના અધિકારીઓની કમિટી ટેન્ડરની સ્ક્રૂટિની કરી યોગ્ય સંસ્થાને કોન્ટ્રાક્ટ આપે છે. આ વર્ષે વાડોકાઇ ડો એસોસિયેશને પણ ફોર્મ ભર્યું હતું. જોકે દાહોદની વિશ્વાસ લોક કલ્યાણ ટ્રસ્ટની સંસ્થાને કોન્ટ્રાક્ટ અપાયો છે. જેની સામે વાડોકાઇ ડો એસો.ના સંસ્થાપક રાજેશ અગ્રવાલે નારાજગી દર્શાવી છે. તેમણે પત્ર લખી કહ્યું કે, સરકારના રમત-ગમત મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત કરાટે અને ટેક્વાન્ડોની સંસ્થાના સભ્યો દ્વારા સ્વરક્ષણ તાલીમ અપાય તેમ છે, પણ 15 જાન્યુઆરીએ પોર્ટલ પર આ સંસ્થાને ડિસ્ક્વોલિફાઇ કરાઈ છે. અમારી યોગ્યતા સરકારી વિભાગને નક્કી કરવા દોવિશ્વાસ લોક કલ્યાણ ટ્રસ્ટના ભાવેશ પાનોટે કહ્યું કે, આ કામ અમને મળ્યું છે. અમારી યોગ્યતા સરકારી વિભાગ-કમિટીને નક્કી કરવા દો. જેમને કોન્ટ્રાક્ટ નથી મળ્યો તેમના આ બળાપા છે. આ વર્ષે અમારો એલવન (રૂા.10,702)નો રેટ હતો, જે ગત વર્ષ કરતાં ખૂબ ઓછો છે, જેમાં તેમની સંસ્થાને કામ મળ્યું હતું. શાસનાધિકારી ડો.વિપુલ ભારતિયે કહ્યું કે, કોન્ટ્રાક્ટ આપવામાં સરકાર નિર્ધારિત નિયમોનું પાલન સંપૂર્ણ પારદર્શિતાથી કરાયું છે.
ગમખ્વાર અકસ્માત સર્જાયો:સંગમ પાસે વાહન ચાલકને બચાવતાં કાર પલટી, 5 લોકોનો આબાદ બચાવ
શહેરના સંગમ ચાર રસ્તા પાસે રવિવારે બપોરના સમયે અકસ્માત સર્જાયો હતો. જેને કારણે જાહેર માર્ગ પર કાર ઊંધી વળી ગઈ હતી. આ અકસ્માતને પગલે લોકોનાં ટોળાં જામ્યાં હતાં. કારમાં સવાર 5 લોકોને સામાન્ય ઇજા થઈ હતી, જેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની વિગતો મુજબ, સંગમ ચાર રસ્તા પરથી પસાર થતી કારના ચાલકે અન્ય વાહન ચાલકને બચાવવા જતાં તેમની કાર પલટી ખાઈ ગઈ હતી. ઘટના સ્થળ પર હાજર લોકોએ મીડિયાને જણાવ્યું હતું કે, કાર 4 થી 5 પલટી ખાઈ ગઈ હતી. બનાવને પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. 10 જેટલા વિસ્તારના લોકોએ કારને સીધી કરી હતી. અકસ્માતના આ બનાવમાં કારમાં સવાર 5 જેટલા લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી, જેના કારણે તમામને સારવાર માટે સયાજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
5 વર્ષથી સંગમ સોસાયટીના માખિજાની ટ્રસ્ટના અન્નક્ષેત્રના રસોડામાં સવારે 2 કલાક સેવા આપું છું. સવારે 300 લોકોનું જમવાનું બને છે. શનિવારે સવારે 8-30 વાગ્યે રસોડામાં ગેસ બોટલમાં અચાનક આગ લાગી ગઇ. અમે કંઇક વિચારીએ તે પહેલાં આગ ફેલાવા માંડી. કેટલાક લોકો ડોલ લઇ આગ બુઝાવવા દોડ્યા. કેટલાક ચાદર ભીની કરી ફેંકવા માંડ્યા. 5 મિનિટમાં તો રસોડામાં પણ ન રહેવાય તેવી હાલત હતી. સૌ લોકો હિંમત હારી ગયા હતા. સૌ ભાગ્યા, પણ હું ડગ્યો નહીં. ધુમાડો હવે રસોડાની બહાર પણ ફેલાઇ રહ્યો હતો. આ તબક્કે મને લાગ્યું કે, આગ કેવી રીતે બુઝાવું? જો રસોડું બંધ થાય તો અનેક લોકોને ભૂખ્યા રહેવું પડે. મેં જોયું કે ગેસ બોટલ દરવાજા પાસે હતો. આ દરવાજા પાસે જવાનો એક બીજો રસ્તો હતો. આ રસ્તો પાછળના ભાગેથી હતો. હું સમય બગાડ્યા વિના તુરંત જ તે રસ્તે રસોડાની પાછળના દરવાજે પહોંચ્યો. જ્યારે દોડીને જતો હતો ત્યારે એક પાવડો નજરે પડ્યો. હું ખેડૂત પુત્ર છું. વર્ષો ખેતી કરી છે. પાવડાનો ઉપયોગ જાણું છું. મેં એ ઉઠાવ્યો અને તુરંત જ બોટલ પાસે ગયો. હજીય તે સળગતો હતો. પાવડા વડે બોટલ મારી પાસે ખેંચ્યો. હું સમજતો હતો કે, આ એક જોખમ છે. ફાટશે તો એવો સવાલ થયો. પણ મારે કોઇ પણ ભોગે આગ બુઝાવવી જ હતી. સમય બગાડ્યા વિના હિંમતથી રેગ્યૂલેટર ફેરવી દીધું. બોટલમાંથી નીકળતી આગ બે સેકન્ડમાં જ ઓલવાઇ ગઇ. બીજી ફેલાયેલી આગને તો 10 મિનિટમાં જ લોકોએ ભેગા થઇને બૂઝાવી દીધી. લોકોએ મારી પાસે આવીને હિંમતના વખાણ કર્યા. કોઇને મદદ કરવી એ મારો સ્વભાવ જ રહ્યો છે. હું મૂળ ભાવનગરનો છું. ધો.10 સુધી ભણ્યો છું પણ ભાવનગરમાં પૂરમાં મેં કેટલાક તણાતાના પણ જીવ બચાવ્યા છે. આ મારા માટે એક સંતોષની કામગીરી હતી, જ્યાં હું કામ કરું છું તે ક્ષેત્રને બચાવી શક્યો. - લક્ષ્મણભાઇ મારુ, વય 77 વર્ષ, રણછોડપાર્ક સોસાયટી, કારેલીબાગ.
ઇરાન-અમેરિકા યુદ્ધને લીધે ખનિજ તેલના જથ્થાની અસરે ભારતને હજી પરેશાન કરી નથી. જોકે વડોદરાવાસીઓએ આ યુદ્ધમાંથી ધડો લઇ ઇ-વ્હીકલ્સ વસાવવા માંડ્યાં છે. વડોદરા આરટીઓ કચેરીના ડેટા મુજબ ઇલેક્ટ્રિકલ કારના રજિસ્ટ્રેશનમાં 131 ટકાનો અને ઇલેક્ટ્રિક ટુ વ્હીલરમાં 20 ટકાનો ઉછાળો નોંધાયો છે. ગત 2 વર્ષના જાન્યુઆરીથી માર્ચ સુધીનાં ટુ વ્હીલર, ફોર વ્હીલરના રજિસ્ટ્રેશનના ડેટાનું એનાલિસીસ કહે છે કે, ગત વર્ષે 1298 ઇ-ટુ વ્હીલરની નોંધણી થઇ હતી, જે આ વર્ષે 1567ની થઇ છે. જ્યારે ઇ-કાર ગત વર્ષે 140 વેચાઇ હતી, જે આ વર્ષે 324 વેચાઇ છે. ઇ-વાહનોના ડીલરોના જણાવ્યા મુજબ આ ટ્રેન્ડનો આધાર ચૂંટણી પછીની પેટ્રોલ-ડીઝલની કિંમતો પર રહેશે. જો કિંમતો 5 ટકા કરતાં વધુ વધી તો વેચાણ વધશે. જોકે આગામી સમયમાં ઇ-વ્હીકલ્સના ભાવ મોટાપાયે વધે તેવી શક્યતા નથી. ટુ વ્હીલર વાહનોના ડીલર ભૌમિક શાહ કહે છે કે, ઇ-ટુ વ્હીલર લેવા આવતાં લોકોના મનમાં પેટ્રોલ માટેની લાંબી લાઇનો અને પેટ્રોલના ભાવ વધશે તેવી ધાસ્તી છે. તેથી તેઓ ઇવી બુક કરાવી રહ્યાં છે. ઇ-કારમાં ચાર્જિંગ બાદ 300થી 500 કિમી ચાલી રહી હોવાથી હવે ઇ-કાર પણ લોકો પસંદ કરી રહ્યાં છે. ઇ-વીમાં વપરાતી સેમી કન્ડક્ટર ચીપનો દેશમાં પૂરતો પુરવઠો ઉપલબ્ધ, ઉત્પાદન પર અસર નહીંઇ-વીમાં વપરાતી સેમી કન્ડક્ટર ચીપ ભારતમાં પણ બની રહી છે. તાઇવાન-ચીનમાંથી તેની આયાત થાય છે. ચીપનો પુરવઠો પૂરતો છે. આગામી સમયમાં આ પરિબળોને ધ્યાનમાં રાખીએ તો ઇ-વ્હીકલ્સના ઉત્પાદનને અસર થશે નહીં. > અમન ચાવડા, સેમિ કન્ડક્ટર એક્સપર્ટ લિથિયમની કિંમત 18 ટકા, ભાવ વધુ નહીં વધેઇ-ટુ વ્હીલર્સમાં લિથિયમ બેટરીની કિંમત 18 ટકા જેટલી હોય છે. હાલમાં ચીનથી બેટરીઓ આવે છે, કેટલીક કંપનીઓ ભારતમાં જ બનાવે છે. જ્યારે બીજા કોમ્પોનેન્ટ્સની કિંમત નજીકના ભવિષ્યમાં ખૂબ વધે તેમ નથી. તેથી ઇ-વ્હીકલ વધુ મોંઘાં થાય તેવી શક્યતા નથી. > જયેશ ઠક્કર, ઇ-વ્હીકલ ઉત્પાદક ઇ-વ્હીકલનું આરટીઓ રજિસ્ટ્રેશનનું જાન્યુઆરીથી માર્ચનું સરવૈયું
પર્યાવરણના જતનનો ધર્મ નિભાવવા અને ભવિષ્યમાં ઓક્સિજન મળી રહે તે હેતુથી 12થી 15 વર્ષનાં 51 બાળકોએ સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન શરૂ કર્યો છે. જે અંતર્ગત બાળકોએ દુમાડમાં 32 હજાર ચો. ફૂટમાં 51 વડ રોપી તેને દત્તક લઈને ઉછેરવાની જવાબદારી લીધી છે. બાળકોએ 40 વર્ષની ઉંમર સુધી જેટલો ઓક્સિજન લીધો હશે તેનાથી 10 ગણો વધુ પર્યાવરણને પરત આપશે. પ્રોજેક્ટની વિશેષતા એ છે કે, તેમાં બાળકોને ‘ગ્રીન ડોનર’ તરીકે જોડ્યાં છે. બાળકો માતા-પિતા સાથે મળી વૃક્ષોની સંભાળ લે છે, જેમ કે પાણી આપવું અને પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવી. તમામ રોપાને યોગ્ય આયોજન સાથે જુદી જુદી પેટર્નમાં વાવ્યા છે. નોંધનીય છે કે, પર્યાવરણ સંરક્ષણ તરફ અનોખું પગલું ભરી કચરેથી આઝાદી ફાઉન્ડેશને દુમાડ ગામે ‘વડ ફોરેસ્ટ’નું નિર્માણ કર્યું છે. આ પ્રોજેક્ટ ઓક્સિજન માટેના ‘સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન’ જેવી કલ્પના પર આધારિત હોવાનું ડો.સુનિત ડબકેએ જણાવ્યું હતું. વડોદરામાં કાંપવાળી જમીનને કારણે વડ સૌથી વધુ ઊગે છેવડોદરામાં કાંપવાળી જમીન છે, સૂર્ય પ્રકાશ વધુ મળે છે અને વરસાદ પણ પૂરતો હોય છે. જેથી અહીં વડ વધુ ઊગે છે. વડની કેનોપી મોટી હોય છે. તે ઓક્સિજન પણ વધુ આપે છે. > જીતેન્દ્ર ગવલી, પર્યાવરણવિદ અન્ય 5 વૃક્ષની તુલનામાં વડનું 1 ઝાડ 10 ગણો ઓક્સિજન આપે છેઆ અંગે ડો.સુનિત ડબકેએ કહ્યું કે, 5 વૃક્ષ જેટલો ઓક્સિજન આપે છે તેનાથી 1 વડ 10 ગણો ઓક્સિજન આપે છે. જેથી બાળકો વડ વાવીને જીવનભર જે ઓક્સિજન લીધો છે તેટલો ઓક્સિજન પર્યાવરણને પરત આપશે. જે 51 બાળકોએ વડ વાવ્યા છે તે સમયાંતરે વડ ફોરેસ્ટમાં ભેગાં થશે અને પર્યાવરણને બચાવવા વિવિધ ચર્ચા કરી પગલાં ભરશે. વડના ટેટા ગણા પશુ-પંખીનો ખોરાક હોય છે. જેથી જૈવ વિવિધતા પણ જોવા મળશે.
ભાસ્કર બ્રેકિંગ:કોસંબામાં 344 કરોડના ખર્ચે 9 કિમી લાંબો અનોખો રેલ-ઓવર-રેલ ફ્લાયઓવર બનશે
ભારતીય રેલવેએ દેશમાં કનેક્ટિવિટી અને ટ્રેનોની ક્ષમતા વધારવા માટે રૂ. 647.58 કરોડના બે મોટા પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપી છે. જેમાં ગુજરાતના કોસંબા અને બિહારના ભાગલપુરનો સમાવેશ થાય છે. જોકે, આ પ્રોજેક્ટમાં સૌથી વધુ ચર્ચા ગુજરાતના કોસંબામાં બનનારા ‘રેલ-ઓવર-રેલ’ (ROR) ફ્લાયઓવરની છે. આ માત્ર એક બ્રિજ નથી. પણ રેલવેના ટ્રાફિક જામને ઉકેલવા માટેનું એક અદભૂત ‘એન્જિનિયરિંગ સોલ્યુશન’ છે. કોસંબા-ઉમરપાડા રેલવે સેક્શન મુંબઈ-વડોદરા મેઈન લાઇનના પૂર્વ ભાગમાં આવેલું છે. હાલમાં અહીં ગેજ રૂપાંતરણ એટલે કે નાની લાઇનમાંથી મોટી લાઇનનું કામ ચાલી રહ્યું છે. પરંતુ સૌથી મોટો પડકાર એ છે કે કોસંબા પાસે ભારતનો મહત્વાકાંક્ષી ‘ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર’ એટલે કે માલગાડીઓ માટેનો ખાસ ટ્રેક પસાર થાય છે. આ ફ્રેટ કોરિડોર મેઈન લાઇન અને કોસંબા-ઉમરપાડા લાઇન વચ્ચે અવરોધ બની રહ્યો હતો. જો ટ્રેનોને જમીન પરના ટ્રેક (લેવલ ક્રોસિંગ) દ્વારા જોડવામાં આવે તો તે ટેકનિકલી જોખમી હતું અને તેનાથી મેઈન લાઇનનો ટ્રાફિક ખોરવાય તેમ હતો. આ સમસ્યાના ઉકેલ માટે રેલવેએ 9.20 કિમી લાંબો રેલ-ઓવર-રેલ ફ્લાયઓવર મંજૂર કર્યો છે. આ ફ્લાયઓવર દ્વારા કોસંબા-ઉમરપાડાની ટ્રેનો ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની ઉપરથી પસાર થઈને સીધી મુંબઈ-વડોદરા મેઈન લાઇન પર ઉતરશે. આનાથી મેઈન લાઇન પર દોડતી રાજધાની કે વંદે ભારત જેવી હાઈ-સ્પીડ ટ્રેનોને રોકવી નહીં પડે અને નવી ટ્રેનો નિર્બાધ રીતે જોડાઈ શકશે. આ પ્રોજેક્ટથી દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારો હવે સીધા મુખ્ય ઔદ્યોગિક કોરિડોર સાથે જોડાઈ જશે. જે ભવિષ્યમાં વેપાર અને રોજગારી માટે નવી તકો ખોલશે.કોસંબાનો આ પ્રોજેક્ટ આગામી સમયમાં ગુજરાતની રેલવે કનેક્ટિવિટી માટે ગેમ-ચેન્જર સાબિત થશે. રેલ ફ્લાયઓવર શું છે ?સામાન્ય રીતે રોડ પર ફ્લાયઓવર હોય છે. જેમાં વાહનો નીચેના ટ્રાફિકને અસર કર્યા વગર ઉપરથી પસાર થતાં હોય છે. તેવી જ રીતે રેલ-ઓવર-રેલ ફ્લાયઓવરમાં એક ટ્રેક જમીન પર હોય અને બીજો ટ્રેક તેની ઉપર પસાર કરવામાં આવે છે. જેનાથી બે અલગ અલગ દિશામાં જતી ટ્રેનો એક બીજાને રોક્યા વગર એક સાથે પસાર થઇ શકે છે . મુસાફરોને શું ફાયદો થશેઅત્યારે ઘણી ટ્રેનોને જ્યારે સાઇડ લાઇન પરથી મુખ્ય લાઇન પર લાવવામાં આવે છે ત્યારે એન્જિનની દિશા બદલવી પડે છે. આ ફ્લાયઓવરની ડિઝાઇન એવી છે કે ટ્રેન ઉભા રહ્યા વગર સીધી જ મેઈન લાઇન પર ચઢી જશે. જેનાથી મુસાફરોના 20થી 30 મિનિટ બચશે. ગેજ રૂપાંતરણ બાદ આ રૂટ પર ભારે માલગાડીઓ અને લાંબી પેસેન્જર ટ્રેનો દોડશે. આધુનિક ફ્લાયઓવરને કારણે ટ્રેનોના અથડામણનું જોખમ શૂન્ય થઈ જશે.
નોકરી ન્યુઝ:એડિશનલ આસિ. ડાયરેક્ટરની 172 જગ્યા, પગાર 1.51 લાખ
કેન્દ્રીય નાણાં મંત્રાલયના ડાયરેક્ટોરેટ જનરલ ઓફ પરફોર્મન્સ મેનેજમેન્ટે એડિ. આસિસ્ટન્ટ ડાયરેક્ટરની 172 જગ્યા ભરવા ભરતી બહાર પાડી છે. નિમણૂક ડેપ્યુટેશનના ધોરણે કરાશે, પસંદગી પામનાર ઉમેદવારને પે-મેટ્રિક્સ લેવલ-8 મુજબ રૂ.47,600થી રૂ.1,51,100 સુધીનો પગાર મળશે. CBIC હેઠળ ગ્રુપ B, C કેડરમાં ફરજ બજાવતા પાત્ર અધિકારીઓ 12 મે 2026 સુધીમાં પોતાની અરજી મોકલી શકે છે. ઉમેદવારોને દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ જેવા મુખ્ય શહેરોમાં પોસ્ટિંગ મળી શકે છે. લાયક ઉમેદવારોએ 31.03.2022 ના ભરતી નિયમો મુજબ યોગ્યતા ધરાવવી આવશ્યક છે. આ રીતે અરજી કરો ઉમેદવાર પસંદગી
અંગદાન:પલસાણાના બ્રેનડેડ યુવકના લીવર અને કીડનીના દાનથી ત્રણ વ્યક્તિને નવજીવન
નવી સિવિલ હોસ્પિટલમાંથી સતત ત્રીજા દિવસે ત્રીજું અંગદાન થયું છે. પલસાણાના બ્રેનડેડ યુવાનના અંગોનું દાન કરી પરિવારે ત્રણ વ્યક્તિને નવજીવન આપ્યું છે. યુવકના લીવર અને બન્ને કિડનીઓનું ત્રણ જરૂરીયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. પલસાણા ગામ, ગોપી રેસીડેન્સી, મેઘા પ્લાઝા ખાતે રહેતા 33 વર્ષીય રાજેન્દ્ર હિરાલાલ ગુપ્તા ગઈ તા.25 માર્ચના રોજ બપોરે નોકરી પરથી ઘરે આવ્યા બાદ બાજુના બિલ્ડીંગના ત્રીજા માળેથી નીચે પટકાયા હતા. જેથી તેમને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન 28 માર્ચના રોજ તબીબોએ તેમને બ્રેનડેડ જાહેર કર્યા હતા. આરએમઓ ડો. કેતન નાયક, ડો. નિલેશ કાછડીયા અને ગુજરાત નર્સિંગ કાઉન્સીલ ઉપાધ્યક્ષ ઈકબાલ કડીવાલાએ પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. પરિવારની સહમતી બાદ સોટો દ્વારા લિવર અને બન્ને કિડની અમદાવાદની સિમ્સ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા હતા.સિમ્સ હોસ્પિટલની ટીમ દ્વારા અંગોનું દાન સ્વિકારવામાં આવ્યું હતું. ત્રણે અંગોનું ત્રણ જરૂરીયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.
વેરા વસુલાત:વેરામાં 100% વ્યાજ માફી છતાં 800 કરોડમાંથી માત્ર 135 કરોડની વસૂલાત
વર્ષો જૂના બાકી વેરાની વસૂલાત માટે પાલિકાએ અમલમાં મૂકેલી ઐતિહાસિક વ્યાજ-પેનલ્ટી માફી યોજનાને આડે હવે માંડ 2 દિવસ બાકી છે. મિલકતદારો માટે વ્યાજમાં 100 ટકા રાહત મેળવવાની આ છેલ્લી તક છે. 31 માર્ચે યોજના પૂરી થશે. માર્ચ એન્ડિંગને આડે ગણતરીના કલાકો બાકી છે ત્યારે પાલિકા કમિશનરે તમામ મિલકતદારોને વેરો ભરી દેવા તાકીદ કરી હતી. આકારણી ચોપડે વર્ષોથી ₹800 કરોડથી વધુનો મિલકતવેરો બાકી બોલે છે. આ રકમ વસૂલવા તંત્રએ વ્યાજ માફી આપી હતી, જેમાં અત્યાર સુધીમાં 135 કરોડની રિકવરી થઈ છે. હજુ પણ મોટી સંખ્યામાં એવા મિલકતદારો છે જેમણે આ યોજનાનો લાભ લીધો નથી. જો 31 માર્ચ સુધીમાં વેરો નહીં ભરાય તો 1 એપ્રિલથી પૂરેપૂરું વ્યાજ ચૂકવવું પડશે અને મિલકત સીલ પણ થઈ શકે છે. નોંધીય છે કે, જો મિલકત પર વર્ષોનું વ્યાજ ચડી ગયું હોય તો આ બે દિવસ ગોલ્ડન ચાન્સ છે. ₹1ની પેનલ્ટી વગર માત્ર મુદ્દલ રકમ ભરીને દેવા મુક્ત થઈ શકાશે. ઓનલાઈન અને ઓફલાઈન બંને વ્યવસ્થા કરાઈપાલિકાના તમામ ઝોનની સિવિક સેન્ટરની બારીઓ પર ભારે ધસારો જોવા મળી રહ્યો છે. છેલ્લી ઘડીએ સર્વર ડાઉન થવાની કે લાંબી કતારોની માથાકૂટથી બચવા માટે તંત્રએ ઓનલાઈન પેમેન્ટની સુવિધાનો વધુમાં વધુ ઉપયોગ કરવા અપીલ કરી છે.
22 માર્ચે ખુલ્લા મુકાયેલા સચિનના સાતવલ્લા રેલવે બ્રિજની ઉપયોગિતા પર પાલિકાએ ઇન્ડિયન રોડ કોંગ્રેસ (IRC)ના સ્ટાન્ડર્ડ મુજબ વિશ્લેષણ કર્યું હતું, જેમાં પરિણામ આવ્યું હતું કે, નો બ્રિજ બનવાને કારણે રોજ 40 હજાર વાહનોનું 18 કરોડનું ઈંધણ બચશે. પાલિકાએ જણાવ્યું કે, સર્વે દરમ્યાન રોજ સરેરાશ 40 હજારથી વધુ વાહનો પસાર થતા હોવાનું નોંધાયું છે. જો કે, બ્રિજના નિર્માણ પહેલાં પિકઅવર્સમાં જૂના સિંગલ લાઇન બ્રિજ પર સતત ટ્રાફિકજામ સર્જાતો હતો. જેથી ગંતવ્ય સ્થળે પહોંચવામાં વિલંબ થવા ઉપરાંત ઇંધણનો મોટો વ્યય થઈ રહ્યો હતો. મુસાફરોનો કીમતી સમય બગડવાની સાથે વાહન ચલાવવાનો ખર્ચ વધી જતો હતો. ગત 22મી માર્ચે નવા બ્રિજના લોકાર્પણની સાથે આ તમામ સમસ્યાઓનો અંત આવ્યો છે. પ્રતિ વાહનચાલક સરેરાશ 5થી 7 મિનિટની બચતરિપોર્ટના વિગતવાર વિશ્લેષણ મુજબ, નવો બ્રિજ બન્યા બાદ પ્રતિ વાહન ચાલક સરેરાશ 5થી 7 મિનિટનો સમય બચી રહ્યો છે. ઇંધણ અને મેઇન્ટેનન્સના ખર્ચમાં ધરખમ ઘટાડા સાથે સમય અને ઇંધણની બચતની ગણતરી મુજબ વાર્ષિક અંદાજે 18 કરોડનો આર્થિક લાભ થશે. વિભાગે કહ્યું કે, આ હિસાબે પ્રોજેક્ટનો પે-બેક પિરિયડ માત્ર 2થી 2.5 વર્ષ જેટલો જ રહેશે. એટલે 37 કરોડના ખર્ચે બનેલા સાતવલ્લા બ્રિજની ઇન્ડિયન રોડ કોંગ્રેસની ડિઝાઇન અને નિયમ પ્રમાણે પ્રદુષણની માત્રામાં ઘટાડાની સાથે ઇંધણની બચત માટે પણ સાર્થક નિવડશે તેવું પણ ઉમેર્યું હતું.
સચિન GIDCની DGVCLને લેખિત રજૂઆત:કારખાનાંની કેપેસિટી 50% થઈ ગઈ, વીજ બિલમાં રાહત આપો
ઈરાન–ઈઝરાયલ–અમેરિકા વચ્ચેના યુદ્ધની અસર સુરતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી પર થઈ રહી છે. ગેસ બોટલો મળતી ન હોવાથી ટેક્સટાઈલમાં ખાસ કરીને વીવિંગ ફેક્ટરીઓ 50 ટકા કેપિસીટ પર આવી ગઈ છે. ઉત્પાદન ઘટતા ઉદ્યોગકારો પર ખર્ચનો બોજો વધ્યો છે. આ સંજોગોમાં વીવિંગ સેક્ટર પાસે લેવાતા ફિક્સ વીજ ચાર્જમાં 50 ટકા રાહત આપવા માંગ ઉઠી છે. સચિન જીઆઈડીસી એસોસિએશનના ડિરેક્ટર મહેન્દ્ર રામોલિયાએ ડીજીવીસીએલના એમડીને લેખિત રજૂઆત કરીને એલટી અને એચટી કનેક્શનના ફિક્સ ચાર્જમાં 50 ટકા રાહત આપવા માંગ કરી છે. ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ 99 કિલોવોટના જોડાણમાં ફિક્સ ચાર્જ 13,805 છે અને બિલ 85 ટકાથી ઓછું હોય તો આ ચાર્જ 10,977 રૂપિયા છે. જ્યારે એચટીમાં 500 કિલોવોટના કનેક્શનમાં ફિક્સ ચાર્જ 75 હજાર છે અને 85 ટકાથી ઓછું બિલ આવે તો 63,184 રૂપિયા ફિક્સ ચાર્જ આવે છે. ઉત્પાદન અડધું હોવા છતાં ફિક્સ ચાર્જનો બોજો યથાવત છે, જેથી હાલમાં આ ચાર્જમાં રાહત આપો તો ઉદ્યોગને રાહત મળી શકે.
રાજકોટના જામકંડોરણા તાલુકાના તરકાસર ગામમાં સાંથણીની નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવ્યા વગર જ વર્ષ 1960માં વેચાણ કરી નાખી શરતભંગ કરવામાં આવતા ગોંડલ પ્રાંત અધિકારીએ શરતભંગ સબબ જમીન ખાલસા કરી સરકાર હસ્તક પરત લેવા હુકમ કરતા જમીન ખરીદનાર આસામીએ જિલ્લા કલેક્ટર સમક્ષ અપીલ કરતા જિલ્લા કલેક્ટરે પણ પ્રાંત અધિકારી ગોંડલનો હુકમ યથાવત્ રાખી 11 એકર 7 ગુંઠા સરકાર હસ્તક લેવા હુકમ કર્યો હતો. સાંથણી શરતભંગના કેસની વિગત ગોંડલ ડેપ્યુટી કલેક્ટર દ્વારા 23-01-1960ના રોજ જામકંડોરણા તાલુકાના તરકાસર ગામના રેવન્યુ સરવે નંબર 61ની 6 એકર અને 5 ગુંઠા તેમજ સરવે નંબર 65ની 5 એકર 2 ગુંઠા જમીન ગોરધનભાઈ મનજીભાઇ નામના આસામીને નવી અને અવિભાજ્ય શરતે વિક્રયાદિત નિયંત્રણની શરતોને આધીન ફાળવી હતી. જોકે નવી અને અવિભાજ્ય શરતોને આધીન જમીન ફાળવવામાં આવી હોવા છતાં લાભાર્થી ગોરધનભાઈ મનજીભાઈએ 11 મામાં જ તા.9-12-1960ના રોજ આ જમીન રણછોડભાઈ કેશાભાઈ જોટાણિયાને વેચાણ કરી નાખી હતી. બીજી તરફ નવી શરતની જમીનનું વેચાણ થઇ ગયા બાદ આ જમીન ખરીદનાર રણછોડભાઈ કેશાભાઈનું પણ અવસાન થતા તેમના પત્ની વિજયાબેનના નામે જમીનની વારસાઈ નોંધ પાડવામાં આવી હતી. જે બાદ વિજયાબેનનું પણ અવસાન થતા તેમના સાત સંતાનોના નામે વારસાઈ નોંધ પડી હતી છતાં 64 વર્ષ સુધી મહેસૂલ તંત્રના ધ્યાને આ ગંભીર બાબત આવી ન હતી. જોકે વર્ષ 2024માં નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવ્યા વગર જ વેચાણ થયું હોવાનું ગોંડલ પ્રાંત અધિકારીના ધ્યાને આવતા શરતભંગના પગલાં લઈ 11 એકર 7 ગુંઠા જમીન સરકાર હસ્તક લેવા હુકમ કર્યો હતો. જે બાદ નવી શરતની જમીન ખરીદનાર ગુજરનાર રણછોડભાઈ કેશાભાઈના સંતાનોએ કલેક્ટર સમક્ષ અપીલ કરતા જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશે નવી શરતની જમીનના વેચાણના કિસ્સામાં ગોંડલ પ્રાંતનો હુકમ યથાવત્ રાખી જમીન સરકાર હસ્તક લેવા હુકમ કર્યો છે.
ગરીબોના પેટ ઠારવાનું ઉત્તમ કાર્ય:રાજકોટના મહાકાલેશ્વર મંદિરે દરરોજ 500 જરૂરિયાતમંદને ‘પ્રેમનું ભોજન’
શહેરના એરપોર્ટ રોડ પર આવેલ મહાકાલેશ્વર મંદિરે માનવતાનું અનોખું દૃશ્ય રોજ સર્જાય છે, જ્યાં શ્રી મહાકાલેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 500થી વધુ ગરીબો અને શ્રમિકોને પ્રેમપૂર્વક ભોજન પીરસવામાં આવે છે. અહીં માત્ર પેટ નહીં, પરંતુ હૃદય પણ તૃપ્ત થાય છે. આ સેવા પાછળ ટ્રસ્ટના આશરે 20 કર્મચારીનો નિષ્ઠાભર્યો પરિશ્રમ છે. કોઈ રસોઈ બનાવે છે, કોઈ સફાઈ સંભાળે છે તો કોઈ પીરસવાની સેવા કરે છે. અનેક બહેનો નિઃસ્વાર્થ ભાવથી મફત સેવા આપે છે, જ્યારે કેટલીક બહેનોને સંસ્થા તરફથી સહાય આપવામાં આવે છે. બધા જ સામાન્ય પરિવારોમાંથી આવ્યા હોવા છતાં તેમની સેવા અસામાન્ય છે. વિશેષ વાત એ છે કે, આ સેવાકાર્ય સ્વયંભૂ રીતે ચાલે છે. રોજિંદું અનાજ અને સામગ્રી ક્યાંથી આવે છે, કોણ આપે છે, તે જાણે ઈશ્વરની કૃપા સમાન અજાણી જ રહે છે. વિશેષ વાત એ છે કે, આ સેવાકાર્ય સ્વયંભૂ રીતે ચાલે છે. રોજિંદું અનાજ અને સામગ્રી ક્યાંથી આવે છે, કોણ આપે છે, તે જાણે ઈશ્વરની કૃપા સમાન અજાણી જ રહે છે. ટ્રસ્ટ દ્વારા દરરોજ 25થી 30 ટિફિન હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના સગાઓ સુધી પહોંચાડવામાં આવે છે. મહાકાલેશ્વર મંદિરે થતું આ ‘પ્રેમનું ભોજન’ ખરેખર એ સંદેશ આપે છે કે, ભગવાનના દ્વારે કોઈ પણ ભૂખ્યું નથી રહેતું. ટ્રસ્ટના સંચાલક ભૂષણભાઈ બુંદેલા જણાવે છે કે, અહીં ભોજનને ક્યારેય બગાડવામાં આવતું નથી લોકોના જમ્યા બાદ જે ભોજન વધે છે, તેને સંસ્થાના સેવકો દ્વારા સચોટ રીતે પેક કરી ફૂટપાથ પર રહેતા ગરીબ અને નિરાધાર લોકોને પ્રેમપૂર્વક પહોંચાડવામાં આવે છે. આ પ્રયાસથી ભોજનનો સદુપયોગ થાય છે અને જરૂરિયાતમંદોના પેટ પણ ભરાય છે. અનાજનો બગાડ નથી કરતા વધેલા ભોજનને ફૂટપાથ પર રહેતા લોકો સુધી પહોંચાડાય છે : ભૂષણભાઈ બુંદેલા
ઈજનેરીના વિદ્યાર્થીઓને NHAIમાં કમાણીની તક:રૂ.20 હજાર સ્ટાઈપેન્ડ સાથે પ્રેક્ટિકલ ટ્રેનિંગ મળશે
‘નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા’ (NHAI) એ વિદ્યાર્થીઓ માટે લાલ જાજમ બિછાવી છે. આ પ્રોગ્રામ હેઠળ વિદ્યાર્થીઓને દર મહિને રૂ.20,000નું આકર્ષક સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે. આ વખતે NHAI એ તેનું માળખું વિસ્તાર્યું છે. હવે આધુનિક ટેક્નોલોજીનો યુગ હોવાથી આઈટી, કમ્પ્યૂટર સાયન્સ, ઈલેક્ટ્રોનિક્સ, ઈલેક્ટ્રિકલ અને ખાસ કરીને ડેટા સાયન્સ તથા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના વિદ્યાર્થીઓને પણ તક આપવામાં આવશે. આ ઉપરાંત, બિન-તકનીકી ક્ષેત્રો જેવા કે મેનેજમેન્ટ (MBA), LLB, કોમર્સ સહિતના વિદ્યાર્થીઓ જોડાઈ શકશે. પ્રોજેક્ટ હાઈલાઈટ શરત : કોલેજ કે યુનિવર્સિટીની મંજૂરી બાદ જ વિદ્યાર્થીને એન્ટ્રી મળશેઅરજી પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન છે. વિદ્યાર્થીઓએ NHAI ના સ્પેશિયલ ઈન્ટર્નશિપ પોર્ટલ પર જઈને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જોકે, અહીં એક શરત છે: વિદ્યાર્થીની અરજી તેની કોલેજ કે યુનિવર્સિટી દ્વારા પોર્ટલ પર વેરિફાઈ થવી જોઈએ. સંસ્થાની મંજૂરી બાદ જ NHAI મેરિટના આધારે પ્રોજેક્ટની ફાળવણી કરશે. વિદ્યાર્થીઓ આવી રીતે અરજી કરી શકે છેરસ ધરાવતા વિદ્યાર્થીઓ https://internshipsatnhai.digitalindiacorporation.in/ લિંક પર જઈને પોતાની શૈક્ષણિક વિગતો સાથે ફોર્મ ભરી શકે છે. પોર્ટલ પર વિદ્યાર્થીઓ અને સંસ્થાઓ માટે અલગ-અલગ લોગિન સુવિધા ઉપલબ્ધ છે. NHAIના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર 2025 માં વિન્ટર ઈન્ટર્નશિપમાં 244 અને જાન્યુઆરીથી જૂન 2026 ના ટર્મ પ્રોગ્રામમાં 149 વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ સફળતાને પગલે હવે ઉનાળામાં મોટા પાયે ભરતી કરવાનું આયોજન કરાયું છે.
શહેરના ગોંડલ રોડ પર આવેલા સમ્રાટ ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં બેગ બનાવતું એક કારખાનું એવું છે, જ્યાં માત્ર રોજગાર જ નહીં પરંતુ માનવતા અને વિશ્વાસનો પણ સારો સંદેશ મળે છે. આ કારખાનાના સંચાલક અમિતભાઈ રમેશભાઈ કગથરાએ પોતાના વ્યવસાયને સમાજસેવાના માર્ગ સાથે જોડીને અનેક જરૂરિયાતમંદ લોકોના જીવનમાં નવી આશા પ્રગટાવી છે. અમિતભાઈએ અંધ કર્મચારીઓ અને દીકરીઓને આત્મનિર્ભરતાની એક નવી દિશા સૂચવી છે. છેલ્લા 15 વર્ષથી ધમધમતું આ “સન બેગ” કારખાનું તેમના પિતા રમેશભાઈએ શરૂ કર્યું હતું અને આજે અમિતભાઈ તેના સંચાલનને આગળ ધપાવી રહ્યા છે. હાલમાં અહીં લગભગ 200 જેટલા કર્મચારીઓ કામ કરે છે, જેમાંથી 9 દૃષ્ટિહીન કર્મચારીઓ પણ સામેલ છે. સામાન્ય રીતે અવગણના અનુભવનારા આ કર્મચારીઓ અહીં બેગને કોથળીમાં પેક કરવાની કામગીરી ખૂબ જ નિષ્ઠાથી કરે છે. તેમને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ખાસ સહાયકની વ્યવસ્થા રાખવામાં આવી છે, સાથે જ તેમના દૈનિક જીવનને સરળ બનાવવા માટે બાથરૂમ સુધી લઈ જવું અને રિક્ષામાં લાવવા-લઈ જવાની સુવિધા પણ આપવામાં આવે છે. છેલ્લા ત્રણ મહિનાથી તમામ કર્મચારીઓ માટે ભોજનની વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી છે, જે અહીંના પરિવારભાવને વધુ મજબૂત બનાવે છે. આ કારખાનું ગરીબ પરિવારમાંથી આવતી દીકરીઓ માટે પણ આશાનું કેન્દ્ર બન્યું છે. અહીં તેમને મફત સિલાઈની તાલીમ આપવામાં આવે છે અને તાલીમ દરમિયાન પણ દૈનિક રૂપિયા 450નું ભથ્થું આપવામાં આવે છે. આ આવકથી દીકરીઓ પોતાના પગ પર ઊભી રહી શકે છે અને પરિવારને પણ મદદરૂપ બને છે. ગોકુલનગર, આજી ડેમ અને રૈયાધાર વિસ્તારની અનેક દીકરીઓ માટે આ તક જીવન બદલનાર સાબિત થઈ રહી છે. કેટલીક મહિલાઓ તો લગ્ન પછી પણ ઘરેથી કામ લઈને તેને પૂર્ણ કરીને કારખાને પરત આપે છે, જેનાથી તેઓ આર્થિક રીતે સ્વતંત્ર રહે છે. કારખાનામાં સુરક્ષાને પણ પ્રાથમિકતા આપવામાં આવી છે. અહીં 70 વર્ષની આસપાસની ઉંમરની 10 જેટલી વૃદ્ધ મહિલાઓને રોજગાર આપવામાં આવ્યો છે, જેના કારણે યુવતીઓ પોતાને વધુ સુરક્ષિત અને આત્મવિશ્વાસભર્યું અનુભવે છે.અમિતભાઈનો આ પ્રયાસ એ સાબિત કરે છે કે, વ્યવસાય માત્ર નફા માટે નહીં, પરંતુ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પણ મહત્ત્વપૂર્ણ બની શકે છે.
સાંપ્રત સમયમાં સનાતન સંસ્કૃતિ વિશે ખૂબ જ ચર્ચા થાય છે, પરંતુ હકીકતમાં હિન્દુ શાસ્ત્ર અને સનાતન સંસ્કૃતિના ગુણ જીવનમાં ઉતારવામાં આવતા નથી. જોકે ક્રાંતિકારી સમાજ સુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ એવા ટંકારા તાલુકાના હરિપર ગામમાં જન્મેલ નવલિકાબેન નિષિધભાઈ ભાગિયા નામની ખેડૂત પરિવારની ભણેલી-ગણેલી દીકરીએ જીવનને શુદ્ધ અને સુસંસ્કૃત બનાવવાની સાથે હિન્દુ શાસ્ત્રના સોળ સંસ્કારનું પાલન કરવા નિશ્ચય સાથે ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભાધાન સંસ્કાર કરી સંપૂર્ણ ભગવદ્ ગીતા કાપડ પર કંડારી ગર્ભસ્થ શિશુને અભિમન્યુની જેમ ગર્ભમાં જ જ્ઞાન આપવા ધાર્મિક વાંચન, સુપાચ્ય ખોરાક સહિતની બાબતોની કાળજી લેતા સર્વમ નામના પુત્રનો જન્મ થયો છે. પુત્રના જન્મ બાદ સાતમા દિવસથી જ મ્યુઝિક થેરાપી, દૈનિક યજ્ઞ અને ચિત્રદર્શન થકી બાળકની સમજની કેળવણી શરૂ કરતા આજે માત્ર નવ મહિનાની ઉંમર ધરાવતો સર્વમ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, મહર્ષિ દયાનંદ સરસ્વતી, શહીદ ભગતસિંહ સહિતના 10 મહાપુરુષને આસાનીથી ઓળખવાની સાથે ફળ, ફૂલ, રંગ, ઘર ઉપયોગી વસ્તુઓ, પ્રાણીઓ, જુદા-જુદા આકાર તેમજ શરીરના અંગોને ઓળખી બતાવે છે. સર્વમનો આઈક્યૂ એટલો ઊંચો છે કે, નવ માસની ઉંમરે 240 જેટલી વસ્તુઓ, વ્યક્તિઓ ઓળખી બતાવે છે એ પણ ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષામાં.નવ માસના સર્વમને દૈનિક એક કલાકનો અભ્યાસમાત્ર નવ મહિનાની ઉંમરમાં જ ઘર ઉપયોગી ચીજવસ્તુઓથી લઇ રાષ્ટ્રની મહાન વિભૂતિઓને ઓળખી બતાવતા સર્વમને આ સિદ્ધિ એમ જ નથી મળી સર્વમના માતા નવલિકાબેન દરરોજ નિયમિત રીતે એક કલાક સુધી સર્વમને રાગ-રાગિણી સાથેની મ્યુઝિક થેરાપી, દૈનિક યજ્ઞ, યોગ, મેડિટેશન, સહિતની બાબતો શીખવે છે. નવલિકાબેન કહે છે કે, અઘરું કઈ જ નથી જો તમે મનથી નિશ્ચય કરો તો બધું જ શક્ય છે.ઉચ્ચ અભ્યાસ કરવા છતાં 42 લોકોના સંયુક્ત પરિવાર સાથે ગામડું પ્રિયઆજના સમયમાં દીકરીઓને પરણીને ગામડાંમાં સાસરે જવું ગમતું નથી ત્યારે બીસીએ સુધીનો અભ્યાસ કરી કેમ્પસ ડાયરેક્ટરની નોકરી કરનાર નવલિકાબેન ભાગિયાએ જીવનભર ગામડાંમાં જ રહેવાનું પસંદ કરી 42 લોકોના સંયુક્ત પરિવારમાં રહે છે. નવલિકા બહેન કહે છે કે, શુદ્ધ હવા, પાણી, ખોરાક જોઈતા હોય તો ગામડું બેસ્ટ. હું મારા બાળકોને ગાયનું ચોખ્ખું દૂધ પીવડાવવાની સાથે અન્ય લોકોને પણ શુદ્ધ દૂધ મળે તે માટે મયૂર ડેરી મોરબીના હરિપર-ભૂતકોટડા દૂધ મંડળીના પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી રહ્યા છે. દરેક બહેનો ગર્ભ સંસ્કાર અવશ્ય કરે : નવલિકાબેનનવલિકાબેન કહે છે કે, દરેક પચ્ચીસ વર્ષે પેઢી બદલાય છે, આવનારા સમયની પેઢી માટે ધન-દોલત નહીં, પરંતુ કુશાગ્ર બુદ્ધિ મહત્ત્વની સંપત્તિ સાબિત થશે. જેની બુદ્ધિમતા શ્રેષ્ઠ હશે તે વ્યક્તિ જ ભણતર અને ગણતર સાથે સર્વાઇવ થઇ શકશે જેથી આજની યુવા પેઢીના બહેનોને મારી સલાહ છે કે તેઓ પોતાના બાળકને ઉત્તમ નહીં અતિ ઉત્તમ બનાવવા ખર્ચ વગર થઇ શકે તેવી ગર્ભ સંસ્કારની વિધિ કરવાની સાથે સંસ્કૃતિ જાળવવા બાળકમાં સંસ્કારનું સિંચન કરે. જીવનથી મૃત્યુ સુધીમાં 16 સંસ્કારહિન્દુશાસ્ત્ર મુજબ માનવજીવનમાં કુલ 16 સંસ્કાર મહત્ત્વના હોય છે જેમાં ઉત્તમ સંતાન માટે ગર્ભાધાન સંસ્કાર, ગર્ભસ્થ શિશુના માનસિક અને શારીરિક વિકાસ માટે ગર્ભધારણના બીજા કે ત્રીજા મહિને પુંસવન સંસ્કાર, ગર્ભની રક્ષા માટે સીમંતોન્નયન સંસ્કાર, બાળકનો જન્મ થાય ત્યારે જાતકર્મ સંસ્કાર,નામકરણ સંસ્કાર,બાળકને પ્રથમ વખત ઘરની બહાર સૂર્ય અને ચંદ્રના દર્શન કરાવવા નિષ્ક્રમણ સંસ્કાર,બાળકને પ્રથમ વખત અન્ન આપતા સમયે અન્નપ્રાશન સંસ્કાર, ચૂડાકર્મ,કર્ણવેધ સંસ્કાર, વિદ્યારંભ સંસ્કાર, ઉપનયન સંસ્કાર, વિદ્યારંભ સંસ્કાર, કેશાંત સંસ્કાર, સમાવર્તન સંસ્કાર,વિવાહ સંસ્કાર અને મૃત્યુ બાદ અંત્યેષ્ટિ સંસ્કાર મળી કુલ સોળ સંસ્કાર થાય છે.
AIના યુગમાં મહેસાણાના ત્રણ વિદ્યાર્થીઓએ અદમ્ય મહેનત અને સપનાઓની જીદથી સમગ્ર ગુજરાતનું મસ્તક ઊંચું કરી દીધું છે. અમદાવાદના સાયન્સ સિટીમાં યોજાયેલ પ્રતિષ્ઠિત ‘ગુજરાત રોબોફેસ્ટ 5.0’માં શ્રી વર્ધમાન વિદ્યાલયના આરવ પટેલ, દર્શ દરજી અને લક્ષ્ય ચોરસિયાએ તૈયાર કરેલા AI હ્યુમનોઈડ રોબોટ ‘ગુજરાતનો ચિટ્ટી’એ પહેલો રેન્ક હાંસલ કરીને ઈતિહાસ રચી નાખ્યો છે. માણસની જેમ સંતુલન જાળવીને ચાલતો, સાચો-ખોટો રસ્તો તરત જ ઓળખી લેતો અને ઢાળ પર પણ અવિરત આગળ વધતો આ અદ્ભુત રોબોટ જોઈને નિર્ણાયકો પણ અવાચક બની ગયા હતા. આ શાનદાર સિદ્ધિ માટે GUJCOST દ્વારા ત્રણેય તેજસ્વી વિદ્યાર્થીઓને 5 લાખનું માતબર રોકડ ઈનામ એનાયત કરવામાં આવ્યું છે, જે તેમની અવિરત મહેનત અને અથાગ પરિશ્રમનું સાચું પુરસ્કાર છે. દરરોજ 16-18 કલાકની મહેનતે તૈયાર કર્યો 'ગુજરાતનો ચિટ્ટી'મહેસાણાની શ્રી વર્ધમાન વિદ્યાલયના વિદ્યાર્થીઓ આરવ કે. પટેલ, દર્શ વી. દરજી અને લક્ષ્ય એમ. ચોરસિયાએ આ પ્રોજેક્ટ પાછળ દિવસ-રાત એક કર્યા હતા. સાયન્સ શિક્ષક અને મેન્ટર રુમિત મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ આ ટીમે છેલ્લા સાડા ત્રણ મહિનાથી દૈનિક 12થી 16 કલાક જેટલી સખત મહેનત કરી હતી. આ રોબોટની વિશેષતા એ છે કે, તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી માણસની જેમ સંતુલન જાળવીને ચાલી શકે છે અને વિવિધ મુવમેન્ટ કરી શકે છે, જેના કારણે નિર્ણાયકોએ તેને 'ગુજરાતનો ચિટ્ટી' કહીને નવાજ્યો હતો. દર્શે બોર્ડની એક્ઝામ સાથે પ્રોજેક્ટમાં આપ્યું મહત્વનું યોગદાન આ સફળતા પાછળ અનેક પડકારો પણ હતા. ટીમમાં સામેલ દર્શ દરજીએ પોતાની ધોરણ-10ની બોર્ડની પરીક્ષાની તૈયારીઓ ચાલુ હોવા છતાં સમયનું સચોટ આયોજન કરી આ પ્રોજેક્ટમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. પ્રોજેક્ટની શરૂઆતમાં આઈડિએશન લેવલ પર 25,000 અને ત્યારબાદ પ્રૂફ ઓફ કન્સેપ્ટ (POC) તબક્કે 1,00,000ની ગ્રાન્ટ મેળવી વિદ્યાર્થીઓએ પોતાની ક્ષમતા સાબિત કરી હતી. આ પ્રોજેકટ પાછળ અંદાજે 90 હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો.અંતે 21થી 23 માર્ચ દરમિયાન યોજાયેલી ગ્રાન્ડ ફિનાલેમાં રાજ્યભરની શાળાઓને પછાડી આ ટીમે વિજેતાનો તાજ પહેર્યો હતો. આ AI હ્યુમોનોઈડ રોબોટ વિશે વાત કરતાં 16 વર્ષીય દર્શે કહ્યું- અમે એક એવો રોબોટ બનાવવા ઈચ્છતા હતા કે જે માણસની જેમ ચાલી શકે. આ રોબોટ બનાવવાની કામગીરી અમે 2025થી શરુ કરી હતી. સવારે 7 વાગ્યે સ્કૂલે આવી જતા અને રાતના 10-12 વાગ્યા સુધી રોબોટ બનાવવા માટે મહેનત કરતા હતા. આખા દિવસમાં અમે ફક્ત જમવા પૂરતા જ ઊભા થતા હતા. હું ધોરણ-10માં હોવાના કારણે બોર્ડની પરીક્ષાનું ટેન્શન પણ રહેતું. જોકે, આ ટાઈટ શેડ્યુલના કારણે હું સવારમાં 5 વાગ્યે ઊઠી જતો અને પહેલા સ્કૂલ વર્ક અને રીડિંગ પતાવી લેતો અને ત્યારબાદનો સમય રોબોટ બનાવવામાં લગાડી દેતો. રોબોટ બનાવવા સમયે પ્રાથમિક તબક્કે મારુ એક જ બાબત પર ફોકસ હતું કે, રોબોટ એક જ લાઈનમાં ચાલે અને તેની આડે કોઈ વસ્તુ આવે તો તે અથડાઈ નહીં. સોફ્ટવેર, કેમેરા લગાવવાનું કામ લક્ષ ચોરશિયાએ કર્યુંઆ રોબોટ બનાવવામાં મદદ કરનાર અન્ય વિદ્યાર્થી 16 વર્ષીય લક્ષ ચોરસિયાએ જણાવ્યું કે, આ રોબોટના સોફ્ટવેરને લગતી તમામ કામગીરી મે કરી છે.રોબોટમાં કેમેરાનું એન્ગલ પણ મે સેટ કર્યું છે.દેશ-વિદેશમાં ઘણા રોબોર્ટ બને છે પણ આપણા દેશમાં રોબોટ બનાવવાની કામગીરી ઓછી થાય છે. સરકારે રોબોફેસ્ટની એક સારી પહેલ કરી છે, જે 2020થી ચાલુ થઈ છે. રોબોફેસ્ટનો ઉદ્દેશ એવો છે કે, નવી પેઢી જે આવે છે એ રોબોટ વિશે જાણે અને સમજે અને આ ક્ષેત્રમાં કઈક નવું કરે પિતા પાસેથી હાર્ડવેર કોડીગ શીખી રોબોટ પર કામ કર્યુંધો. 9માં અભ્યાસ કરતા 14 વર્ષીય આરવે જણાવ્યું કે, આ રોબોટ બનાવવામાં મે ટેક્નિકલ વર્ક અને કોડિંગનું કામ હું સંભાળતો હતો. મારા પિતા પોતે એક એન્જિનિયર છે એમની પાસેથી મે હાર્ડવેર અને કોડિંગ શીખ્યો છું. અન્ય રોબોટ કરતા અમારો રોબોટ એક લાઇન પર ચાલી શકે છે પોતાના પગ પર. આ રોબોટ ઢાળ પર ચડે છે.રસ્તામાં કોઈ વસ્તુ આવે તો ઉભો થઇ જાય છે. સાચા-ખોટા રસ્તાની પરખ કરે છે. રોબોટ બનાવવા પાછળ અનેકવાર નિષ્ફળતા મળી છે. ઘણીવાર કામ બગડી પણ જતું જોકે, હિંમત હાર્યા વગર અમે આ રોબોટ તૈયાર કર્યો છે. ઘણીવાર રોબોટ બનાવવાની સામગ્રી ઉડી પણ ગઈ છે. અત્યાર સુધીમાં આ રોબોટ તૈયાર કરવા પાછળ 1 લાખથી વધુનો ખર્ચ થઈ ગયો છે. સ્કૂલ દ્વારા અમને ખૂબ સપોર્ટ મળ્યો છે, એક આખો રૂમ અમને ફાળવવામાં આવ્યો હતો. સ્માર્ટ ટીવી, જમવાનું ઘણું બધું સ્કૂલે સપોર્ટ કર્યું છે. સ્કૂલ અને પરિવારમાં ખુશીનો માહોલવિદ્યાર્થીઓની આ ઐતિહાસિક સિદ્ધિને વધાવવા માટે શ્રી વર્ધમાન વિદ્યાલય ખાતે સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં શાળાના ટ્રસ્ટી મિલન ચૌધરી, પ્રિન્સિપાલ દીપક દેસાઈ અને વાલીઓની ઉપસ્થિતિમાં ત્રણેય 'નાના વૈજ્ઞાનિકો'નું કંકુ તિલક કરી સન્માન કરવામાં આવ્યું હતું. હાલમાં આ રોબોટને સરકાર દ્વારા નિદર્શન માટે પ્રદર્શિત કરવામાં આવ્યો છે, જે ટેકનોલોજી પ્રેમીઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... અમદાવાદ મનપાની ચૂંટણી નજીક આવતા જ દાવેદારોનો રાફડો ફાટ્યોઆગામી મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે ચૂંટણી લડીને કોર્પોરેટરો બનવા ઇચ્છતા નેતાઓ અને કાર્યકર્તાઓની ભાજપના ગાંધીનગર કમલમ અને અમદાવાદમાં ખાનપુર કાર્યાલય ખાતે આંટાફેરા વધી ગયા છે. અમદાવાદમાં 192 સીટ ઉપર ચૂંટણી લડવા માટે અત્યાર સુધીમાં ભાજપના ખાનપુર કાર્યાલય ખાતે 500થી વધુ ઉમેદવારના બાયોડેટા આવી ચૂક્યા છે. કાર્યકર્તાઓથી લઈને પૂર્વ કોર્પોરેટરો શહેર પ્રમુખની ઓફિસમાં આવીને પોતાનો બાયોડેટા આપી રહ્યા છે. કેટલાક કાર્યકર્તાઓ ટિકિટ માટે ખાસ પ્રમુખને મળવા માટે કાર્યાલય ખાતે બેસી રહે છે અને ફોન મેસેજ મારફતે પણ ખોટે ટિકિટ મેળવવા માટે ઇચ્છુક એવું કહી રહ્યા છે. ભાજપના પ્રમુખ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે, તમારી જે પણ લાગણી કે માગણી હોય તે ક્યારે નિરીક્ષક આવે ત્યારે ત્યાં કરજો. ભાજપના ચૂંટણી નિરીક્ષકોના નામ નક્કી, કોને ક્યાં જવાનું છે તે અંગે સસ્પેન્સસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી ચૂક્યા છે. ચૂંટણીને લઈને ગુજરાત ભાજપ દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. ચૂંટણીની તૈયારીઓમાં ભાજપના જૂના જોગીઓથી લઈને સિનિયર નેતાઓની હવે ગણતરી કરવામાં આવી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જીતવા માટે જવાબદારીઓ સિનિયર કાર્યકર્તા- નેતાઓને આપવામાં આવી છે. નિરીક્ષકોના નામ નક્કી થઈ ગયા છે પરંતુ કોણ ક્યાં ચૂંટણી નિરીક્ષક તરીકે જશે એની પહેલેથી લોકોને જાણ ન થાય તેના માટે બધાને ઇમેલ મારફતે જાણ કરવા માટે કહેવામાં આવ્યું છે. તેઓને જ્યારે જે જિલ્લા કે મહાનગરમાં જવાનું હશે તે પહેલા જાણ કરાશે. જો પહેલાથઈ જાહેરાત થઈ જાય તો ઘણાબધા ભલામણ અને પોતાની લોબીંગ શરૂ કરી દે તેના માટે નામ છેલ્લેસુધી જાહેર કરાયા નથી. 31મીએ વડાપ્રધાનની ગુજરાતની મુલાકાત પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થશે31મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના એક દિવસના પ્રવાસે આવી રહ્યા છે.જેને પગલે અનેક IAS અધિકારી સહિતના અનેક નાના મોટા અધિકારીઓને જવાબદારી સોંપી દેવાઈ છે. ખાસ કરીને અમદાવાદમાંથી વધુ કર્મચારીઓને કામગીરીમાં લઈ લેવાયા છે. બીજી બાજુ મહાનગરપાલિકાઓ સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની મુદત્ત પૂરી થઈ હોવાથી રાજ્યનુ ચૂંટણી પંચ ચૂંટણી જાહેર કરવા માટેની તૈયારીઓ કરી રહ્યુ છે. અગાઉ એવી વાત હતી કે. બજેટ સત્ર પૂર્ણ થયા બાદ તુરંત જ ચૂંટણીની જાહેરાત કરી દેવાશે પરંતુ વડાપ્રધાનનો કાર્યક્રમ ગોઠવાઈ જતા હવે ચૂંટણીની જાહેરાત વડાપ્રધાનના કાર્યક્રમ પછી જ થાય એવી શક્યતા છે. નિવૃત થયેલા 260થી વધુ અધિકારીઓ સામેની તપાસ અધૂરી, વિજિલન્સ કમિશનરની આકરી ટકોરરાજ્યના વહીવટી તંત્રમાં શિસ્તભંગ અને ભ્રષ્ટાચારના કેસોમાં થતી ધીમી કાર્યવાહી હવે ગંભીર મુદ્દો બની છે. વિજિલન્સ કમિશનર સંગીતા સિંઘે વિવિધ સરકારી વિભાગોને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, કાર્યવાહી લાંબી ચાલશે તો હવે સહન નહીં કરવામાં આવે. માત્ર એક જ વર્ષ દરમિયાન 11,233 જેટલી ફરિયાદો નોંધાતા તંત્રની કાર્યક્ષમતા પર પ્રશ્નચિન્હ ઉભા થયા છે. તેમાં પણ શહેરી વિકાસ વિભાગ સૌથી આગળ રહ્યો છે, જ્યારે મહેસૂલ અને ગૃહ વિભાગમાં પણ ફરિયાદોની સંખ્યા ઓછી નથી. વધુ ચોંકાવનારી વાત એ છે કે છેલ્લા પાંચ વર્ષમાં નિવૃત્ત થયેલા 260થી વધુ અધિકારીઓ સામેની તપાસ હજુ અધૂરી છે, જે સિસ્ટમની ગતિ અંગે અનેક સવાલો ઉભા કરે છે. IPS ટ્રાન્સફરની ચર્ચા: નિવૃત્તિના અંતિમ દિવસોમાં પોસ્ટિંગને લઈ સવાલોતાજેતરમાં ગૃહ વિભાગ દ્વારા એકસાથે 37 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી, જેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. ખાસ કરીને 1991 બેચના અધિકારી શમશેરસિંહને નિવૃત્તિ પહેલાં જ નવી જવાબદારી સોંપાતા સચિવાલયમાં વિવિધ અર્થઘટનો થઈ રહ્યા છે. તેઓ 31 માર્ચે નિવૃત્ત થવાના છે અને તે પહેલાં મળેલા પોસ્ટિંગને લઈને અંદરખાને ચર્ચા જોર પકડી રહી છે. પોતે પણ સોશિયલ મીડિયા પર લાંબી સેવા માટે લાગણીસભર સંદેશ મૂકી ચૂક્યા છે. તેમની વિદાય બાદ હોમગાર્ડ વિભાગમાં કોણ આગેવાની સંભાળશે તે મુદ્દે પણ ચર્ચાઓ તેજ બની છે. સ્થાનિક ચૂંટણી પહેલા સર્વેની દોડ: ‘મોદી ફેક્ટર’ માપવા ભાજપ સક્રિય, AAP પણ પાછળ નહીંગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી નજીક આવતા રાજકીય હલચલ તેજ બની છે. ભાજપે ટેલિફોનિક સર્વે શરૂ કરીને લોકોમાં વડાપ્રધાન પ્રત્યેનો ઝુકાવ જાણી લેવા પ્રયાસ કર્યો છે. વિવિધ પ્રશ્નો દ્વારા મતદારોની માનસિકતા સમજવાની કવાયત ચાલી રહી છે. બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ સમાન રીતે સર્વે કરાવી રહી છે અને આવનારી વિધાનસભા ચૂંટણી માટે પોતાની જમીન તૈયાર કરી રહી છે. કોંગ્રેસ અંગે એવી ચર્ચા છે કે તે હજી આંતરિક ગોઠવણમાં જ વ્યસ્ત છે, જેના કારણે આ વખતે રાજકીય મુકાબલો ત્રિપક્ષીય બનવાની શક્યતા વધુ છે. PMOની નજર બાદ કલ્પસરને નવી ગતિ? સચિવાલયમાં ફરી ચર્ચા તેજલાંબા સમયથી અટવાયેલ કલ્પસર પ્રોજેક્ટ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. PMOના પ્રિન્સિપલ સેક્રેટરી પી.કે. મિશ્રાની તાજેતરની ગુજરાત મુલાકાત બાદ આ પ્રોજેક્ટને લઈને હલચલ વધી ગઈ છે. સામાન્ય રીતે તેમની મુલાકાત જાહેર થતી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ તેમણે રાજ્યના વિવિધ પ્રોજેક્ટ્સ સાથે કલ્પસર યોજના અંગે પણ વિગતવાર ચર્ચા કરી છે. હવે આ પ્રોજેક્ટ માટે ડીટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. જો આ યોજના આગળ વધે તો નર્મદા બાદની સૌથી મોટી સિંચાઈ યોજના તરીકે ઉભરી શકે છે. માર્ગ મકાન વિભાગમાં નવો ઈતિહાસ, નિવૃત્ત થયા પછી સચિવને કોન્ટ્રાક્ટ પર લેવાયાસામાન્ય રીતે સરકારના વિવિધ ડીપાર્ટમેન્ટમાંથી વયનિવૃત્ત થનારા અનેક ઉચ્ચ અધિકારીઓને સરકાર તુરંત જ કોન્ટ્રાક્ટ પર તેની જગ્યાએ જ રાખી લેતી હોય છે. જ્યારે માર્ગ મકાન વિભાગ એક જ એવો ડીપાર્ટમેન્ટ છે કે, જ્યા હજુ સુધી કોઈ નિવૃત્ત અધિકારીને મુકાયા નહોતા. પણ આ વખતે જાણે નવો ઈતિહાસ બની ગયો છે. કેમકે 31મી માર્ચે વયનિવૃત્ત થનારા હાલના સચિવ પ્રભાત પટેલીયાને એક વર્ષનો કોન્ટ્રાક્ટ આપી દેવાયો છે. જેથી તેઓ હવે આ જગ્યા ઉપર ચાલુ જ રહેશે. સચિવાલયમાં ચર્ચા છે કે, માર્ગ અને મકાન વિભાગમાં 50 ટકાથી વધુ જગ્યાઓ ખાલી છે. ઉપરાંત ચીફ એન્જિનિયર તરીકેનો પાંચ વર્ષનો અનુભવ હોય તેને જ સેક્રેટરીનુ પ્રમોશન મળી શકે છે. જ્યારે હાલમાં આવી લાયકાત ધરાવતા ચીફ એન્જિનિયર નથી. ઉપરાંત હજારો કરોડના કામો પેન્ડિંગ છે.આથી સરકારે તેમને જ ચાલુ રાખવાનો નિર્ણય કરી લીધો હતો. તેમના ઓર્ડરમાં લખ્યુ છે કે,1લી એપ્રિલથી એક વર્ષ માટે અથવા તો સરકાર નવો ઓર્ડર ન કરે ત્યાં સુધી પટેલીયાએ માર્ગ અને મકાન વિભાગના સચિવ તરીકે ફરજ ચાલુ રાખવાની રહેશે. IAS અધિકારીઓ મૂકપ્રેક્ષક બનીને જ કામ કરે છે, અધ્યક્ષ ચૌધરીની ટીકા સાચી હોવાની ચર્ચાબજેટ સત્રના અંતિમ દિવસે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ IAS અધિકારીઓનો દાવ લઈ લીધો હતો. છેલ્લા દિવસે નાયબ મુખ્યમંત્રી અને ગૃહ તથા ઉધોગ મંત્રી હર્ષ સંઘવી હાજર નહોતા. આથી તેના જૂનિયર ગણાતા મંત્રીઓએ ગૃહમાં વિરોધ પક્ષના પ્રશ્નો-પેટા પ્રશ્નોના જવાબો આપ્યા હતા. જો કે, મોટાભાગના મંત્રીઓએ એવુ કહ્યું હતું કે, 'આ જવાબ હું તમને પછીથી આપી દઈશ'. આવુ સાંભળતા જ અધ્યક્ષ શંકર ચૌધરીને ગુસ્સો આવ્યો હતો. તેઓએ અધિકારીઓની ગેલેરી સામે જોઈને કહ્યું હતું કે, IAS અધિકારીઓ શું મૂક પ્રેક્ષક બનીને જ બેઠા રહે છે કે શું? મંત્રીઓને સાચી જાણકારી આપવાની જવાબદારી IAS અધિકારીઓની છે. ત્યારબાદ સચિવાલયમાં ચર્ચા શરુ થઈ છે કે, અધ્યક્ષની ટીકા ખોટી નથી. છેલ્લા ઘણા વર્ષોથી કેટલાક IAS અધિકારીઓને બાદ કરતા બાકીના મોટાભાગના મુક પ્રેક્ષક બનીને જ ફરજ બજાવી રહ્યા છે. તેઓ જવાબદારી લેતા નથી તેમજ પોતાના તાબાના અધિકારીઓ ઉપર જવાબદારી ઢોળી દેતા હોય છે. મુખ્યમંત્રીએ હવે વહીવટીતંત્ર ઉપર પકડ મજબુત કરવી હશે તો IAS અધિકારીઓને પાઠ ભણાવવો પડશે એવો મત ઘણા લોકો વ્યક્ત કરી રહ્યા છે. કેબિનેટની બેઠક નહી મળતા અધિકારીઓને રાહત,આગામી બેઠકમાં CS પોતાનો ક્વોટા પૂરો કરશેદર બુધવારે મળતી કેબિનેટની બેઠક ગત બુધવારે મળી નહોતી. કેમકે બુધવારે વિધાનસભાના બજેટ સત્રનો અંતિમ દિવસ હોવાથી કોઈ પાસે ટાઈમ નહોતો. ત્યાર પછીના દિવસે એટલે કે ગુરુવારે રામનવમીની જાહેર રજા હતી.જેથી સેક્રેટીઓની બેઠક પણ મળી શકી નહોતી. જો કે, કેબિનેટ કે કમિટી ઓફ સેક્રેટરીની બેઠક નહી મળતા અનેક અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. કેટલાક જૂનિયર IAS અધિકારીઓ એકબીજા સાથે ચર્ચા કરતા હતા કે, આ વખતે આપણે સીએસ સાહેબની ડાટ ખાવામાંથી બચી ગયા છીએ. જો કે, અન્ય અધિકારીએ મઝાકમાં કહ્યુ કે, બહું ખુશ થવાની જરુર નથી. હવે મળનારી બેઠકમાં સીએસ સર તેમનો ક્વોટા પુરો કરી દેશે… પૂર્વ મેયર કોર્પોરેટરોના નામ ભૂલી ગયા!ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમદાવાદમાં 'મન કી બાત' કાર્યક્રમમાં અને ટિફિન બેઠકમાં હાજર રહ્યા હતા. મેમનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીની હાજરીમાં અમદાવાદના પૂર્વ મેયર થલતેજ વોર્ડના પૂર્વ કોર્પોરેટરના નામ પણ પૂરતા બોલી શક્યા નહોતા. વક્તા તરીકે બોલી રહેલા પૂર્વ મેયર, કોર્પોરેટરોના નામ બોલવા લાગ્યા હતા. પરંતુ એક મહિલા કોર્પોરેટરનું નામ તેમને યાદ રહ્યું હતું. જ્યારે બીજા મહિલા કોર્પોરેટરનું નામ બોલવામાં પણ થોડા અટકાયા હતા. પૂર્વ મેયરને જો અમદાવાદના તાજેતરમાં જ ટર્મ પૂરી કરી ચૂકેલા પૂર્વ કોર્પોરેટરોના નામ યાદ રહેતા નથી ત્યારે જો તેમને કોઈ જવાબદારી સોંપવામાં આવે તો તેઓ કેટલા લોકોના નામ યાદ રાખશે તેને લઈને મોટો સવાલ છે. ભાજપના નેતાઓ કોર્પોરેટરોના નામ યાદ ના રહેતા પૂર્વ કોર્પોરેટરો અને કેટલાક કાર્યકર્તાઓ પણ હસી પડ્યા હતા.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે અમદાવાદના વોર્ડ નંબર 26 એટલે કે બાપુનગર વોર્ડના મતદારોનો મિજાજ જાણવા ભાસ્કર મતદારોના આંગણે પહોંચ્યું હતું. પાંચ વર્ષ દરમિયાન બાપુનગર વોર્ડમાં કેવી કામગીરી થઈ?, લોકો આજે પણ કેવી કેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે? તે અહીંના મતદારો પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો. વિકાસની વાત આવતા જ લોકો સમસ્યાઓ ગણાવવા લાગ્યાઅમે જ્યારે બાપુનગર વોર્ડમાં પહોંચ્યા તો ન્યૂ આશાપુરી કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી પાસે ગટરો ઉભરાયેલી જોવા મળી. સ્થાનિક નયનાબેન સાથે વાતચીત કરી તો તેમણે કહ્યું કે, અમારે જે પાણી આવે છે તે ગંદુ આવે છે.વર્ષોથી ગટરની સમસ્યાનો સામમનો કરી રહ્યા છીએ. કોર્પોરેટરને અનેકવાર રજૂઆત કરી પણ કોઈ ધ્યાન આપતું નથી. અન્ય એક મહિલા ભાનુબહેને પણ કહ્યું કે, પ્રથમ અડધો કલાક તો ગંદુ પાણી જ આવે છે. ગટરની રજૂઆત તો અમે પાંચ વર્ષથી કરી રહ્યા છીએ. જ્યારે નેતાઓને મત જોઈતા હોય ત્યારે બે હાથ જોડે છે પણ પછી કોઈ ફરકતું નથી. વોર્ડમાં જ્યારે આગળ વધ્યા તો સોનેરિયા બ્લોકથી લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડીયમ તરફ જતો ખખડધજ રસ્તો જોવા મળ્યો. અમને શાંતિલાલ નામના રિક્ષાચાલક મળ્યા. તેઓએ કહ્યું- આ વિસ્તારમાં ગટર, રસ્તા અને પાણીની સમસ્યા છે. જગદીશ પરમાર નામના સ્થાનિક નાગરિકને મળ્યા ત્યારે તેમણે કહ્યું કે, ચોમાસામાં તો એવી સ્થિતિ સર્જાય છે કે બહાર નીકળવું મુશ્કેલ બને છે. અહીં અધીકારી તો એવા ફિલોસોફર જેવા ગોઠવ્યા છે કે, મામો મારે પણ નહીં અને ભણાવે પણ નહીં. ભાજપના કોર્પોરેટરોનું પણ લાપતાગંજ જેવું છે. અમારી માગ છે કે, અમારો કોર્પોરેટર સ્થાનિક જ હોવો જોઈએ. જેથી તે અમારી સમસ્યાને સમજી શકે. રહેતો હોય પશ્ચિમમાં અને પેરાશૂટ લઈ અહીં ઉતરી આવે તે ન ચાલે. 'અમારી દુકાન તોડી નાખી ને કોર્પોટેરની રહેવા દીધી'137 બસ સ્ટેન્ડ રોડ પર દુકાન ધરાવતા નારણભાઈ પંચાલે જણાવ્યું કે, એક વર્ષ પહેલા જ્યારે આ વિસ્તારમાં ડિમોલીશન કામગીરી કરવામાં આવી તો અમારી દુકાન કાયદેસર હતી તેમ છતા તોડી નાખી. જ્યારે કોર્પોરેટરની દુકાનને કંઈ ન થયું. બળદેવ મકવાણા નામના મતદારે કહ્યું- અહીંના સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટર વચ્ચે મનમેળ ન હોવાથી અમારા કામો થતા નથી. અમે જ્યારે કોર્પોરેટર પાસે જઈએ તો તે કહે ધારાસભ્ય પાસે જાવ. જ્યારે ધારાસભ્ય પાસે જઈએ તો તે કહે છે કે કોર્પોરેટર પાસે જાવ. અમે અમારા વિસ્તારમાં કાંકરિયા જેવું તળાવ બનાવવામાં સફળ રહ્યા- પ્રકાશ ગુર્જરબાપુનગર વોર્ડના પૂર્વ કોર્પોરેટર પ્રકાશ ગુર્જરે જણાવ્યું હતું કે, અમે લાલબહાદુર શાસ્ત્રી તળાવનો કાંકરિયાની માફક વિકાસ કરવામાં સફળ રહ્યા છીએ. બાપુનગરમાં પાંચ સરકારી પ્લોટ પર દબાણ હતા તે દૂર કરી સુરક્ષિત કરાયા છે. અમે જ્યારે ચૂંટાયા ત્યારે ડ્રેનેજની સમસ્યા વ્યાપક હતી. પરંતુ, મોટાભાગની સમસ્યા દૂર કરી દેવામાં આવી છે. ઈન્દીરા ગરીબનગર નાળું જે કહેવાય છે તે વિસ્તારમાં સમસ્યા છે ત્યાં પણ હાલ મોટી લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. આ વખતે બાપુનગરની જનતાએ નક્કી લીધું છે કે પરિવર્તન જરુરી છે- કોંગ્રેસ પ્રમુખબાપુનગર વોર્ડના કોંગ્રેસ પ્રમુખ મુકેશ પંચાલે દિવ્ય ભાસ્કરની વાતચીતમાં જણાવ્યું હતું કે, વિકાસનીખોટી વાતો છે. ખાલી કાગળ પર થયો છે. ડ્રેનેજ લાઈનનો પ્રશ્ન યથાવત છે. વગર વરસાદે પાણી ભરાયેલા રહે છે. વિકાસની વાતો ખાલી સ્ટેડિયમ પર કરી રહ્યા છે. અઢી વર્ષથી ખાલી વાતો જ ચાલી રહી છે. બાપુનગરની પ્રજા ત્રાહિમામ છે. આ વખતે બાપુનગરની પ્રજાએ નક્કી કરી લીધું છે કે પરિવર્તન જરુરી છે.
રાજ્યમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. જેને હળવી કરવા માટે શહેર ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સર્વે કરીને કામગીરી કરવામાં આવતી હોય છે. રાજ્યના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું રીડેવલોપમેન્ટ ચાલી રહ્યું છે ત્યારે ભવિષ્યમાં થનારા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને રેલ્વે સ્ટેશનની આસપાસના વિસ્તારમાં રોડ પહોળા કરવા માટેની પ્રક્રિયા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. કાલુપુર તરફ અવરજવર કરનારા રોડને આગામી દિવસોમાં પહોળા કરવામાં આવશે. જેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાલુપુર રેલવે સ્ટેશનની આસપાસ સર્વે કરવામાં આવ્યો છે. કાલુપુર ત્રણ રસ્તાથી રેલવે સ્ટેશન અને કાલુપુર રેલવે સ્ટેશનથી કાલુપુર ચાર રસ્તા તરફ જતો રોડ તેમજ સારંગપુરથી કાલુપુર રેલ્વે સ્ટેશન તરફ ઝોન 3 સુધીના રોડનો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. કાલુપુર ચાર રસ્તા થઈ રેલવે સ્ટેશનથી પરત કાલુપુર ચાર રસ્તા તરફ આવનારા ટ્રાએંગલ વિસ્તાર જે 80 મીટરનો ઓડ ઇવન રોડ છે. આ રોડને 100 મીટરનો કરવા સર્વે કરવામાં આવ્યો છે. ‘પ્રેમ દરવાજાથી ચોખા બજાર થઈને કાલુપુર ત્રણ રસ્તા સુધીના રોડનો સર્વે કરાશે’આ અંગે મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં પ્રેમ દરવાજાથી કાલુપુર ચોખા બજાર થઈને કાલુપુર ત્રણ રસ્તા સુધીના ટીપી નકશા મુજબના 100 ફૂટનો રોડ દર્શાવવામાં આવ્યો છે ત્યારે તેનો પણ સર્વે કરવાની કામગીરી કરાશે. ભવિષ્યમાં કાલુપુર રેલવે સ્ટેશન અવરજવર માટે ટ્રાફિક ખૂબ વધવાનો છે. જેને ધ્યાનમાં રાખીને કાલુપુર રેલવે સ્ટેશન તરફ અવર-જવર થનારા રોડને પહોળો કરવા માટેની પ્રક્રિયા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. દુકાનોને 20 ફૂટ જેટલી તોડવામાં આવશેસુત્રો મુજબ આ ઓડ ઇવન રોડ 20 ફૂટ પહોળો કરવાનો હોવાથી કાલુપુર ચાર રસ્તા પાસે આવેલી તેલ બજાર, ગુજરાત હજ હાઉસની લાઇનમાં આવેલી દુકાનો, ગેસ્ટ હાઉસ રેસ્ટોરન્ટ તેમજ મોતી મહેલની સામેની દુકાનો સહિતની દુકાનોનો સર્વે કરવામાં આવ્યો છે. જેને 20 ફૂટ જેટલી તોડવામાં આવશે અને રોડને પહોળો કરાશે. જ્યારે અત્યારના ટ્રાએંગલ નાનું કરવામાં આવશે. ચોખા બજારની સામેના ભાગે આવેલી તમામ દુકાનોનો સર્વે કરવામાં આવશેકાલુપુર પ્રેમ દરવાજાથી ચોખા બજાર થઈને કાલુપુર ચાર રસ્તા તરફ જનારા રોડને પણ આગામી દિવસોમાં પહોળો કરવા માટે થઈને સર્વે કરવામાં આવશે. ચોખા બજારની સામેના ભાગે આવેલી તમામ દુકાનોનો સર્વે કરવામાં આવશે. જે દુકાનો પણ રોડ પહોળો કરવા માટે 20 ફૂટ જેટલી કપાતમાં જઈ શકે છે. કાલુપુર તરફ આવનારો સારંગપુર પાણીની ટાંકીથી કાલુપુર રેલવે સ્ટેશનની સામેની ડીસીપી ઓફિસ સુધીનો રોડ પણ જે ઓડ ઇવન છે તેના 100 ફૂટનો કરવા માટે ત્યાં પણ સર્વે કરવામાં આવનાર છે અને આગામી દિવસોમાં તેને પણ પહોળો કરવાની પ્રક્રિયા કરવામાં આવશે. સારંગપુરથી કાલુપુર રેલવે સ્ટેશન તરફ આવતા એક પે એન્ડ યુઝ બીએસએનએલ ઓફિસનો અને બેથી ત્રણ હોટલ ગેસ્ટ હાઉસ વગેરેનો સર્વે કરી તેની કપાત માટે નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવશે. સુત્રો મુજબ જે 250થી વધારે દુકાનો અને પ્રેમ દરવાજાથી કાલુપુર ચાર રસ્તા તરફની દુકાનોનો સર્વે કરી અને રોડ પહોળો કરવાની કાર્યવાહી કરવામાં આવશે. તેમાં જે દુકાનો કપાતમાં જઈ શકે છે એવી દુકાનોને નિયમ મુજબ વળતર મળતું હશે તો તે મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રક્રિયા કરી વળતર આપવામાં આવશે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં પર્દાફાશ થયો છે એક મોટા અધિકારીનો, જેમને નિવૃત્ત થયે 10 વર્ષ થઈ ગયા છે છતાં નોકરી મૂકી નથી. જાણીને આશ્ચર્ય થાય એવી ઘટના છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં વયનિવૃત્તિ પછી પણ છેલ્લા 10 વર્ષથી સિટી એન્જિનિયર ફરજ બજાવી રહ્યા છે. કેવી રીતે નેતાઓ અને અધિકારીઓએ એક વ્યક્તિ માટે નિયમ ભૂલીને નિમણૂક કરી? ઉચ્ચ અધિકારીઓના ધ્યાને આ ગેરરીતિ ક્યારે આવી? અને કોના ઇશારે 10 વર્ષ સુધી મનમાની ચાલતી રહી? એ જાણવા માટે અમે તપાસ કરી. જેના પરિણામે જે જાણકારી મળી, ડોક્યુમેન્ટ મળી આવ્યા એ એકદમ ચોંકાવનારી હકીકતનો ખુલાસો કરે છે. ગાંધીનગર મહાનગર પાલિકામાં સિટી એન્જિનિયર તરીકે ફરજ બજાવનારા બી.કે.પંડ્યા ઓગસ્ટ, 2016માં વયનિવૃત્ત થયા હતા. ત્યાર બાદ તેમને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સિટી એન્જિનિયર તરીકે કોન્ટ્રાક્ટ બેઝ પર લેવાયા હતા. ત્યારથી તેઓ આ જ પદ પર ફરજ બજાવી રહ્યા છે. આગળ વાંચો, કેવી રીતે એક અધિકારીને બચાવવા માટે વર્ષો સુધી મનમાની ચાલતી રહી? નિવૃત્તિ પછી પાછલા બારણે ભરતી થઈસરકારના 2016ના પરિપત્ર મુજબ વયનિવૃત્ત કર્મચારીને 62 વર્ષ પછી સરકારમાં કોઈ જગ્યાએ નિમણૂક આપી શકાતી નથી, જ્યારે પંડ્યા 2026માં 68 વર્ષના થઈ ગયા હતા. કોઈપણ કોર્પોરેશનમાં સિટી એન્જિનિયરની પોસ્ટ ખૂબ જ મહત્વની અને જવાબદારીવાળી હોય છે. આથી આવી પોસ્ટ પર નિવૃત્ત થયેલા એન્જિનિયરને રાખવાને બદલે કાયમી ભરતી કરવી પડે. તેને બદલે કોર્પોરેશનના સત્તાધીશોને પંડ્યામાં એવો રસ પડ્યો કે, તમામ નિયમોને નેવે મૂકીને આઉટસોર્સિંગથી એટલે કે પાછલા બારણેથી તેમની નિમણૂક કરી દીધી. એવું નથી કે નિયમોની વિરુદ્ધ જઈને બી.કે.પંડ્યાની નિમણૂક વિશે કોઈને કાનોકાન ખબર ન હતી. આ વાત ગાંધીનગર મહાનગરપાલિકાની હોવાથી રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ સુધી પણ પહોંચી ગઈ. ત્યાર બાદ જે ઘટનાક્રમ શરૂ થયો એ મલાઈદાર પગાર લેતા સરકારની અધિકારીઓની કામ કરવાની નીતિ પર ગંભીર સવાલો ઉભા કરે એવો છે. શહેરી વિકાસ વિભાગને બી.કે.પંડ્યાની ખોટી નિમણૂકની જાણ થયા બાદ તેમને છૂટા કરવા માટે ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનરને ચાર વખત પત્રો લખ્યા હતા. જેમાં સૌપ્રથમ 13 જૂન, 2022ના રોજ પત્ર લખ્યો હતો. સરકારમાંથી પત્ર આવ્યો, આ અધિકારીને તાત્કાલિક છૂટા કરોઆ પત્રમાં સામાન્ય વહીવટ વિભાગના 11 નવેમ્બર, 2021ના ઠરાવ મુજબ સિટી ઇજનેર બી.કે.પંડ્યાને તાત્કાલિક છૂટા કરીને કરવામાં આવે. આ નિર્ણય લેવાયો હોવાની જાણ પણ શહેરી વિકાસ વિભાગને કરવાની પત્રમાં સૂચના હતી. જો કે સેકન્શન અધિકારી નેન્સી મુનશીએ લખેલા આ પત્રથી ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનરને જાણે કોઈ ફરક પડતો ન હોય એમ બી.કે.પંડ્યાની નોકરી સલામત રાખી. એટલે એક મહિના પછી શહેરી વિકાસ વિભાગના ઉપસચિવ રૂપેશ રાણાએ ગાંધીનગર મનપાના એ સમયના કમિશનર ધવલ પટેલને ફરી પત્ર લખ્યો. બીજી વખત લખાયેલા પત્રની ભાષામાં નારાજગી સ્પષ્ટ વર્તાતી હતી. જેમાં અગાઉના પત્રનો રેફરન્સ આપીને લખ્યું હતું કે ક્લાસ-1 અધિકારી બી.કે.પંડ્યાને તાત્કાલિક અસરથી છૂટા કરીને તે અંગેની જાણ આ વિભાગને કરવા જણાવ્યું હતું. પણ હજુ સુધી જાણકારી મળી નથી. આ બાબતે કાર્યવાહી કરીને શહેરી વિકાસ વિભાગને જાણ કરવા ફરીથી કહેવામાં આવ્યું હતું. 111 દિવસ વીતી ગયા પણ ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારીઓના પેટનું પાણી ન હલ્યું. અત્યાર સુધી બન્ને પત્રો એકદમ ટૂંકમાં લખવામાં આવેલા હતા. એટલે શહેરી વિકાસ વિભાગના ઉપ સચિવ કૃણાલ ઉપાધ્યાયે ત્રીજો પત્ર મુદ્દાસર અને બે પાનાનો લખ્યો. જેમાં તેમણે પહેલો મુદ્દો જ ટાંક્યો કે બી.કે.પંડ્યાની કરાર આધારિત નિમણૂક આપવાની દરખાસ્ત અંગેનું વ્યાજબી કારણો સહિતનું જસ્ટિફિકેશન મોકલી આપ્યું નથી. એટલે જસ્ટિફિકેશન તેમજ નિમણૂક પર તમારા અભિપ્રાય સહિત સરકારશ્રીને કાગળો રજૂ કરવા. બીજો મુદ્દો લખ્યો કે આ અધિકારી સામે ખાતાકીય તપાસ ચાલુ, પડતર કે સૂચિત નથી તે અંગેની વિગતો રજૂ કરી નથી. જો શિક્ષા થઈ હોય તો તે અંગેની વિગત દર્શાવવી. આ ઉપરાંત હોદ્દાની વિગત અને પગારધોરણ વિશે પણ જાણકારી માગવામાં આવી હતી. છેલ્લા છઠ્ઠા નંબરના મુદ્દામાં તો સ્પષ્ટ લખ્યું છે કે બી.કે.પંડ્યાની જન્મતારીખ 25 ઓગસ્ટ, 1958ને ધ્યાને લેતાં તેઓની હાલની વય 64 વર્ષની છે. (2022માં પત્રો લખ્યો એ હિસાબે ઉંમર) આથી, સામાન્ય વહિવટ વિભાગના 7 જુલાઈ, 2016ના ઠરાવની જોગવાઇ મુજબ, વયનિવૃત્ત અધિકારી/કર્મચારીને તેઓ 62 વર્ષની વય પૂર્ણ કરે ત્યાં સુધી કરાર આધારિત નિમણૂક આપી શકાશે” ને ધ્યાને લેતાં, બી.કે.પંડ્યાને કરાર આધારિત નિમણૂક આપવાની વિભાગની દરખાસ્ત નિયમોનુસાર વિચારણાપાત્ર થતી નથી. અધિકારી પંડ્યા વિશે ઘણી બધી જાણકારી માગવાનીમાં આવીશહેરી વિકાસ વિભાગના સેક્શન ઓફિસરે ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં સ્પષ્ટ રીતે જણાવાયું હતું કે, પંડ્યાને સરકારની પૂર્વ મંજૂરી વગર આપેલી કરાર આધારિત નિમણૂક અંગે સરકારની વિવિધ સૂચનાઓનું પાલન થયું નથી અને ભંગ થયો છે. આથી આ બાબતે ખુલાસો કરવાનો રહેશે. તેમજ જો પંડ્યા હાલમાં પણ સરકારની પૂર્વ મંજૂરી વગર ફરજો બજાવતા હોય તો તેમની સેવાનો તાત્કાલિક અસરથી અંત લાવવાનો રહેશે. તેમજ અગાઉ પૂર્વ મંજૂરી વગર પંડ્યાને કેટલા વર્ષ સુધી નોકરીમાં રખાયા હતા તેની તમામ વિગતો આપવી. સામાન્ય વહીવટ વિભાગે પણ પંડ્યાની કરાર આધારિત નિમણૂક બાબતે અસ્વીકાર કર્યો હતો, માટે આ નિમણૂકને તાત્કાલિક અસરથી રદ કરીને માન્ય પદ્ધતિથી ખાલી જગ્યાઓ ભરવા માટેની કાર્યવાહી કરવી. પંડ્યાને છૂટા કરવા છેલ્લે એપ્રિલ, 2024માં શહેરી વિકાસ વિભાગે પત્ર લખ્યોશહેરી વિકાસ વિભાગના અનેક પત્રો છતાં મ્યુનિસિપલ કોર્પોરેશને કોઈ જાતની કાર્યવાહી કરી નથી. છેલ્લે 15 એપ્રિલ, 2024માં મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખાયો હતો, જેમાં માત્ર બે લીટીના આ પત્રમાં એવું જણાવાયું હતું કે, 11-11-2024ના સરખા ક્રમાંકના પત્રથી મોકલેલ વિગતો મુજબ નિયમોનુસાર કાર્યવાહી કરવા આજ્ઞાનુસાર વિનંતી કરાઈ હતી. શહેરી વિકાસ વિભાગના અનેક આદેશો છતાં કોર્પોરેશને ખોટા જવાબો રજૂ કરીને સમય પસાર કર્યો હતો. પંડ્યાને ભાજપના ચોક્કસ રાજકીય નેતાઓના આશીર્વાદવયનિવૃત્તિ પછી પણ સતત 10 વર્ષ સુધી મહત્વની જગ્યા પર ફરજ બજાવી રહેલા પંડ્યાને ભાજપના જ સ્થાનિક રાજકીય નેતાઓના આશીર્વાદ હોવાની ચર્ચા છે. જે નેતાના આ અધિકારીના માથે ચાર હાથ છે તે નેતાને ભૂતકાળમાં કોર્પોરેશનમાં મહત્વનો હોદ્દો અપાયો હતો. એ સમયે ગેરકાયદે બાંધકામના વિવાદમાં પણ તેમનું નામ ઉછળ્યું હતું. હાઈકમાન્ડને આ તમામ બાબતોની જાણકારી હોવા છતાં આંખ આડા કાન કરાઈ રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલ 13 સપ્ટેમ્બર, 2021ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. બે મહિના બાદ 11 નવેમ્બર, 2021ના રોજ સામાન્ય વહીવટ વિભાગે ટેકનિકલ અને નોન-ટેકનિકલ જગ્યાઓ પર અધિકારીઓની વયનિવૃત્તિ પછીની નિમણૂક બાબતે એક ઠરાવ કર્યો હતો, જેની નકલ તમામ સરકારી વિભાગોને મોકલી અપાઈ હતી. સરકારના ઠરાવમાં લખેલી વાતો ઘોળીને પી ગયાઆ ઠરાવમાં સ્પષ્ટ અને મહત્વની જોગવાઈઓ કરાઈ હતી. જેમ કે, સરકારના કોઈપણ વિભાગ, બોર્ડ કે ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થામાં નિવૃત્તિ બાદ કરાર આધારિત નિમણૂક આપવાની હોય ત્યારે વર્ગ-1, 2 અને વર્ગ-3ના અધિકારી-કર્મચારીઓ અંગેની દરખાસ્ત સંબંધિત વિભાગે અધિક મુખ્ય સચિવ, મુખ્ય સચિવ અને સંબંધિત મંત્રી મારફતે મુખ્યમંત્રીની પૂર્વ મંજૂરી માટે રજૂ કરવાની રહેશે. સરકારના ધ્યાને આવ્યું છે કે, નિવૃત્ત થયેલા અધિકારીઓની સરકારની પૂર્વ મંજૂરી વગર આઉટસોર્સિંગથી નિમણૂક કરવામાં આવે છે. જો કોઈપણ વિભાગ કે બોર્ડે આ રીતે કોઈ નિવૃત્ત અધિકારી કે કર્મચારીની ભરતી કરી હોય તો તેવી નિમણૂકોનો તાત્કાલિક અસરથી અંત લાવવાનો રહેશે અને તેની જાણકારી સામાન્ય વહીવટ વિભાગને કરવાની રહેશે. આ પરિપત્રમાં સ્પષ્ટતા કરાઈ છે કે, નિવૃત્તિ બાદની કરાર આધારિત નિમણૂકોની સંકલિત વિગતો દર ત્રણ મહિને સંબંધિત વિભાગના નાયબ સચિવ કે સમકક્ષ અધિકારી દ્વારા પ્રમાણિત કરીને સામાન્ય વહીવટ વિભાગને અચૂક રજૂ કરવાની રહેશે. આવી સૂચનાઓનું પાલન ન થાય તેવા કિસ્સામાં જે તે વિભાગના વડા કે મુખ્ય અધિકારીની જવાબદારી નક્કી કરવાની રહેશે. સરકારના આવા સ્પષ્ટ આદેશ છતાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કઈ રીતે નિયમો વિરુદ્ધ 10 વર્ષ સુધી સિટી એન્જિનિયર જેવી અતિ મહત્વની જગ્યા પર કરાર આધારિત નિયુક્તિથી ગાડું ચલાવી રહ્યું છે? એક ગંભીર સવાલ છે. આ મુદ્દે શહેરી વિકાસ વિભાગમાં ફરજ બજાવી રહેલા સંયુક્ત સચિવ કોમલ ભટ્ટનો જવાબ પણ આશ્ચર્ય પમાડે એવો છે. તેમણે કહ્યું, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા થયેલી નિમણૂકના સંદર્ભમાં હું કશુ બોલી શકુ નહીં. ત્યાંના મનપા કમિશનર કોમલ ભટ્ટને પૂછવામાં આવ્યું કે શહેરી વિકાસ વિભાગ દ્વારા જ સિટી એન્જિનિયર પંડ્યાની નિમણૂક સમાપ્ત કરવા માટે ચાર-ચાર વખત લેખિતમાં આદેશો થયા છે. આ સંદર્ભમાં આપ શું કહેશો? ત્યારે કોમલ ભટ્ટે ફરીથી ‘સરકારી’ જવાબ આપતા કહ્યું, ભુતકાળમાં આવા પત્રો લખાયા હોઈ શકે છે. જો તેમણે કોન્ટ્રાક્ટબેઝ ભરતી કરી હોય તો સરકારની મંજૂરી લેવી પડે છે. અમે સરકારની મંજૂરી આવે તો જાણ કરતા હોય છીએ. આ કેસમાં હવે શું સ્ટેટસ છે તેની મને ખબર નથી. હું આ સંદર્ભમાં વધુ કંઈ કહી શકુ નહીં. તમે કમિશનરને જ પૂછો. મોટા અધિકારીઓ પણ ગંભીર મુદ્દે મૌન સેવીને બેઠા છેશહેરી વિકાસ વિભાગના સંયુક્ત સચિવ કોમલ ભટ્ટ સંતોષકારક જવાબ ન જ આપી શક્યા. પરંતુ આ જ વિભાગના ટોચના અધિકારીઓ પણ ભેદી મૌન સેવીને બેઠા છે. આ વિભાગમાં IAS અધિકારીના કાબા હેઠળ તમામ મહાનગરપાલિકાઓ આવે છે. છતાં સિનિયર અધિકારી કહે છે કે, આ કામ અમારા લેવલનું નથી. અમે આવું બધુ કઈ રીતે ધ્યાનમાં રાખી શકીએ. બ્યુરોક્રેટ્સમાં ચાલતી ખોટી સિસ્ટમ મુજબ તેઓએ પણ નીચેના અધિકારીઓ પર જવબાદારી નાખી દીધી છે. આવુ ભેદી મૌન શા માટે રાખવું પડે તે પ્રશ્ન પણ મોટો છે. મનપા કમિશનરે મિટિંગનું કારણ ધર્યું અને જવાબ ટાળ્યોદિવ્ય ભાસ્કરે ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર જે.એન.વાઘેલાનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. તેઓએ કહ્યું કે, હું મિટીંગમાં છું. ત્યાર બાદ કોઈ જ સંપર્ક થઈ શક્યો નથી. તેમણે સરકારી ફોન ઉપાડવાની પણ તસ્દી લીધી નહોતી. એટલું જ નહીં, તેમના સત્તાવાર મોબાઈલ ફોન પર પ્રશ્નો લખીને તેમનો મત જાણવા વિનંતી કરી છતાં કોઈ જ જવાબ આપ્યો નથી. જેથી શું એવું તારણ કાઢી શકાય કે કમિશનરની રહેમનજર હેઠળ જ બધુ ચાલી રહ્યું છે અને સરકારના લેખિતમાં આદેશ હોવા છતાં તેઓ પાલન કરાવી રહ્યા નથી? અધિકારીઓની જવાબ આપવામાં કંજૂસી અને બેજવાબદારીનો નમૂનો જોયા પછી અમે ગાંધીનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ પાસેથી જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો. કોઈપણ મહાનગરપાલિકામાં કમિશનર પછીની સૌથી મહત્વની જગ્યા સિટી એન્જિનિયરની હોય છે. છેલ્લા 10 વર્ષથી કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવતા પંડ્યાના સંદર્ભમાં મેયર મીરા પટેલનો સંપર્ક કર્યો. તેમણે પ્રશ્નો સાંભળ્યા પછી જે જવાબ આપ્યો એ વિચારતા કરી દે તેવો છે. મેયર બાદ અમે આ સંદર્ભે ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેઓએ ફોન ઉઠાવવાની તસ્દી લીધી નહોતી. ત્યાર બાદ તેમને મેસજ એક મેસેજ કરતા થોડી જ વારમાં જવાબ આવ્યો કે “અમારો સંપર્ક સાધવા બદલ આપનો આભાર છે. તમે અમને જણાવો કે અમે તમને કઈ રીતે મદદરુપ થઈ શકીએ.” ત્યાર બાદ અમે સિટી સવાલો લખીને વ્હોટ્સએપ પર મોકલ્યા હતા. તેમને પૂછ્યું કે, સરકારની પૂર્વ મંજૂરી વગર જ છેલ્લા 10 વર્ષથી સિટી એન્જિનિયર તરીકે ફરજ બજાવી રહેલા ભરત પંડ્યાની સેવાને સમાપ્ત કરવા માટે શહેરી વિકાસ વિભાગે ચાર-ચાર વખત પત્રો લખ્યા હોવા છતાં કેમ કોઈ કાર્યવાહી થતી નથી. આશ્ચર્યની વાત છે કે ગૌરાંગ વ્યાસે પણ કોઈ જ જવાબ આપ્યો નથી.------------------------------- જો તમારી પાસે પણ કોઈ જગ્યાએ ચાલતા ભ્રષ્ટાચાર કે ગેરરીતિના પુરાવા છે, કાર્યવાહી નથી થઈ રહી, તેમને કોઈના દ્વારા છાવરવામાં આવી રહ્યા હોય તો દિવ્ય ભાસ્કરને ઇ-મેલના માધ્યમથી પુરાવા સાથે જાણ કરો. dvbbhaskar123@gmail.com
રાજકોટના સદભાવના ગ્રૂપ દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે ‘મહારુદ્ર વૃક્ષારોપણ અભિયાન’ ચાલી રહ્યું છે જે અંતર્ગત આગામી 2045 સુધીમાં સમગ્ર દેશમાં 150 કરોડ વૃક્ષનું વાવેતર કરી ગ્રીન ઇન્ડિયા બનાવવાનું અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આગામી એક વર્ષમાં 2 કરોડ અને 2030 સુધીમાં ગુજરાતમાં કુલ 15 કરોડ વૃક્ષના વાવેતરનો સંકલ્પ સંસ્થાના સંચાલકોએ કર્યો છે. આ મિશન પૂરું કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે. હાલમાં સમગ્ર રાજ્યના 30 જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1.40 કરોડ વૃક્ષનું વાવેતર પૂર્ણ કરી લેવામાં આવ્યું છે અને તેની જાળવણી માટે ડિજિટલ પદ્ધતિથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ‘વન પંડિત’ એવોર્ડથી સન્માનિત સદભાવના વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી વિજય ડોબરિયાએ જણાવ્યું હતું કે, વૃક્ષારોપણનો પ્રથમ વિચાર 2014માં આવ્યો હતો અને મારા વતન પડધરી તાલુકાના ફતેપર ગામને હરિયાળું બનાવવાનો નિર્ણય કરી 5 જૂન 2014થી અભિયાનનો પ્રારંભ કર્યો હતો. ફતેપર ગામને હરિયાળું બનાવ્યા બાદ સમગ્ર રાજકોટ જિલ્લો અને ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં અભિયાન ફેલાવવામાં આવ્યું હતું. અભિયાન શરૂ થયાના 11 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે ત્યારે અત્યાર સુધીમાં 1.40 કરોડ વૃક્ષોનું વાવેતર અત્યાર સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવ્યું છે અને તેની જાળવણી માટે 700 ટેન્કર, 700 ટ્રેક્ટર પાણી પીવડાવવા માટે રાખ્યા છે અને 3500 કર્મચારીનો સ્ટાફ કામે રાખવામાં આવ્યો છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે, ઝાડને લોખંડના પીંજરા સાથે વાવેતર કર્યા બાદ દર ચાર દિવસે પાણી પાઇ દઇએ છીએ અને દર મહિને ખાતર નાખીએ છીએ અને દર ત્રણ મહિને સ્પોન્સરને ફોટો પણ મોકલી આપીએ છીએ. જેમાં સ્પોન્સરનું નામ પણ લખી આપીએ છીએ. સદભાવના ગ્રૂપ દ્વારા અત્યાર સુધીમાં રાજ્યના 5000 કિ.મી. રસ્તાઓ પર વૃક્ષારોપણની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે જેમાં શહેરી વિસ્તારના માર્ગો ઉપરાંત નેશનલ અને સ્ટેટ હાઇવેનો પણ સમાવેશ થાય છે. તેમજ રૂરલ વિસ્તારના માર્ગો પર પણ મોટા પાયે વૃક્ષોનું વાવેતર પૂર્ણ કરી લેવાયું છે. ડિજિટલ મોનિટરિંગ, ઝાડ સૂકાઇ કે બળી જાય તો 10 દિવસમાં બદલી જાય છેકોઇપણ ઝાડના વાવેતર બાદ તેનો સંપૂર્ણ વિકાસ ન થાય ત્યાં સુધી સદભાવના ગ્રૂપ તેનું ધ્યાન રાખે છે. તેમજ તેના સ્ટાફનું મોનિટરિંગ પણ ડિજિટલ ટેક્નોલોજીની મદદથી કરવામાં આવે છે. સદભાવના ગ્રૂપના તમામ ટેન્કરો અને ટ્રેક્ટરમાં જીપીએસ સિસ્ટમ ઉપરાંત તમામ કર્મચારીઓના લાઇવ લોકેશન પર પણ નજર રાખવામાં આવે છે. તેમજ કોઇપણ ઝાડ વાવેતર બાદ સૂકાઇ જાય કે બળી જાય તો વધુમાં વધુ 10 દિવસમાં બદલી નાખવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દર 2000 ઝાડે 1 ટ્રેક્ટર, 1 ટેન્કર, 2 મજૂર અને ડ્રાઇવરો જે તે વિસ્તારના જ રાખવામાં આવે છે અને તે ઝાડ 20 ફૂટનું થઇ જાય ત્યાં સુધી તેની દેખરેખ રાખે છે. ગુજરાતમાં 100થી વધુ મિયાવાકી જંગલો બનાવવાનું આયોજનસદભાવના ગ્રૂપે ગુજરાતના ફોરેસ્ટ વિસ્તારો તથા અન્ય વિસ્તારોમાં 100-100 એકરમાં 100 મિયાવાકી જંગલો બનાવવાનું આયોજન કર્યું છે અને તેમાંથી 50 ટકા મિયાવાકી જંગલો કચ્છમાં બનાવવામાં આવશે. 2025-26માં એટલે કે ચાલુ વર્ષ દરમિયાન મોરબીમાં જોધપર નદીના કાંઠે 10 લાખ વૃક્ષનું સૌથી મોટું માનવસર્જિત જંગલ બનાવવાનું અભિયાન સદભાવના ગ્રૂપે પૂર્ણ કરી લીધું છે. 3500થી વધુ કર્મચારી રાખ્યા વૃક્ષારોપણ માટે 5 લાખ દાતાઓ આગળ આવ્યા, 4 વર્ષ સુધી જતનવિજય ડોબરિયાએ જણાવ્યું હતું કે, સદભાવના ગ્રૂપને 1થી લઇને 1 લાખ વૃક્ષ માટે કુલ 5 લાખ દાતાએ વૃક્ષારોપણ માટે સહાય આપી છે. એક વૃક્ષના વાવેતર માટે દાતાઓ પાસેથી પીંજરા સહિત કુલ રૂ.3 હજારનું દાન સ્વીકારાય છે. જેમાં ચાર વર્ષ સુધી છોડ સંપૂર્ણપણે વિકાસ ન પામે ત્યાં સુધી તેની દરકાર સદભાવના ગ્રૂપ રાખે છે.
અકસ્માતો નિવારવા નિર્ણય લેવાયો:લોકોને જીવના જોખમે પાટા ઓળંગવા ન પડે તે માટે રેલવે તંત્ર સબ-વે બનાવશે
રેલવે ટ્રેક પાર કરતી વખતે થતા અકસ્માતો રોકવા માટે રેલતંત્રે અમદાવાદ સહિત રાજ્ય અને દેશમાં સુવિધાજનક સબવે બનાવવાની તૈયારી શરૂ કરી છે. જેમાં ટ્રેકની નજીક આવેલી સોસાયટી કે ગામના લોકોને ટ્રેકની એકથી બીજી બાજુએ જવા માટે પાટા ઓળંગવાની જરૂર નહીં પડે અને સુરક્ષિત અવરજવર કરી શકશે. રેલવે અધિકારીએ જણાવ્યું કે જે વિસ્તારોમાં ટ્રેકની એક બાજુ વસાહત હોય અને બીજી બાજુ ખેતર, શાળા, સ્મશાન અથવા અન્ય જરૂરી સ્થળો હોય ત્યાં જોખમ સાથે ટ્રેક પાર કરવો પડે છે. હવે આવાં સ્થળે રેલવે દ્વારા સબવે બનાવાશે. આ સબવેની ડિઝાઇન એવી હશે જેથી સામાન્ય લોકો સાઇકલ, બાઈક અથવા અન્ય સામાન કે પશુઓ સાથે સરળતાથી પસાર થઈ શકે. તેની સાથે જ પાણી ભરાવાની સમસ્યા ન થાય તેની ખાસ કાળજી રખાશે. રેલવેના ટ્રેકની બન્ને બાજુએ ફેન્સિંગ બનાવવાનું કામ પણ ચાલી રહ્યું છે, જેથી અનધિકૃત પશુ કે લોકોનો પ્રવેશ અટકાવી શકાય. આ પરિસ્થિતિમાં ગામ અને સોસાયટી નજીક સબવે બનાવવાથી લોકોની સુરક્ષા સાથે સુવિધા પણ વધશે. આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થતા અકસ્માતોમાં ઘટાડો પણ થશે. અમદાવાદ ડિવિઝનના સબવે પ્રોજેક્ટ્સ • ખોડિયાર – ગાંધીનગર – કલોલ સેક્શનમાં સઈજ ગામ નજીક, • ભોયણ રાઠોડ નજીક 4 અને આદરજ-ટીંટોડા નજીક 4 સ્થળે• અમદાવાદ – પાલનપુર સેક્શનમાં ધાણજ નજીક 4 સ્થળે• વિરમગામ – સમાખિયાળી સેક્શનમાં બોધ નજીક• પાલનપુર – સમાખિયાળી સેક્શનમાં પાલડી નજીક• ગાંધીધામ – ન્યૂ ભુજ સેકશનમાં એપીએમસી અંજાર• પાલનપુર – સમાખિયાળી સેક્શનમાં જાદુપુર ગામ
કરુણ અકસ્માત સર્જાયો:પતિની દવા લેવા નીકળેલી મહિલાનું છોટા હાથીની ટક્કરથી મૃત્યુ, સહેલી ઇજાગ્રસ્ત
પતિને હૃદયની બીમારીની દવા લેવા જઈ રહેલી મહિલા અને તેની સહેલીને છોટા હાથીના ચાલકે અડફેટે લીધાં હતાં. મહિલા પરથી છોટાહાથી ફરી વળ્યું હોવાના કારણે મોત નિપજ્યું હતું જ્યારે સહેલીને સારવાર માટે હૉસ્પિટલ મોકલી અપાઈ હતી. આ મામલે પોલીસે છોટા હાથીના ફરાર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. ગોમતીપુરનાં ગુલાબકંવર રાઠોડના પતિને હૃદયની બીમારી હતી. તેની દવા લેવા તેઓ પડોશી નવલબહેનને લઈને રખિયાલની નારાયણ હૉસ્પિટલે દવા લેવા ગયાં હતાં ત્યારે સોનારિયા બ્લોક પાસે છોટાહાથીના ચાલકે બન્નેને ટક્કર મારી હતી. આથી ગુલાબકંવર પટકાઈ પડ્યાં હતાં. બીજી તરફ છોટા હાથીનો ચાલક તેમના પરથી વાહન પસાર કરીને ભગવા જતાં આગળ મંદિર સાથે તેનું વાહન અથડાયું હતું. જોકે ત્યાંથી તે ભાગી ગયો હતો.
રેરાએ ફટકાર્યો દંડ:એક જ ખાતામાં રકમ જમા કરનારા સુરતના બિલ્ડરને રેરાએ રૂ. 25 લાખનો દંડ ફટકાર્યો
રેરા દ્વારા નિયમોના ભંગ બદલ સુરતના શ્રી કુબેરજી ટેક્સટાઇલ વર્લ્ડ નામના બિલ્ડરને 25 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. રેરાના નિયમ મુજબ પ્રોજેક્ટ માટે ગ્રાહકો પાસેથી મળેલાં નાણાંના 70 ટકા રકમ બિલ્ડરે અલગ-અલગ બૅન્ક ખાતામાં જમા કરાવવાનો નિયમ અમલી છે. આમ છતાં વર્ષ 2021-22 દરમિયાન બિલ્ડર દ્વારા 5.56 કરોડની રકમ અલગ-અલગ બૅન્ક ખાતામાં જમા કરાવવાને બદલે એક જ ખાતામાં જમા કરાવ્યા હતા. આથી ઑથોરિટીએ આ બાબતે નોટિસ પાઠવી જવાબ માગ્યો હતો. જોકે બિલ્ડરની દલીલ સાંભળીને રેરાના અધિકારીઓએ વાતમાં તથ્ય ન જાણાતાં દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત રેરાના અધિકારીઓએ શ્રી કુબેરજી ટેક્સટાઇલ વર્લ્ડના બિલ્ડરને સવાલ પૂછ્યો હતો કે તમારા લોગ-ઇનથી રિપોર્ટ અપલોડ થયો તો તમને ખબર કેમ નહોતી? જાણ બહાર થઈ ભૂલ નથી, જાણી જોઈને નિયમોનું ઉલંલ્ઘન કરાયું છે. ફોર્મ-5 (વાર્ષિક ઑડિટ રિપોર્ટ) બિલ્ડરના પોતાના લોગ-ઇન આઇડીથી અપલોડ કરવામાં આવ્યા હતા, તો તમને આ ગેરરીતિ વિશે ખબર ન પડી તે માની શકાય નહીં. સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાઓને ટાંકીને રેરાના અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રકારની આર્થિક શિસ્તહીનતા ચલાવી લેવાય નહીં. રેરા દ્વારા સૂચના આપવામાં આવી છે કે 30 દિવસની અંદર દંડની રકમ ભરવામાં આવે. બિલ્ડર આ દંડની રકમ ગ્રાહકો પાસેથી વસૂલી શકશે નહીં અને રેરાના ખાતામાંથી વાપરી શકાશે નહીં. રેરાના અધિકારીએ બિલ્ડરનાં આ બહાનાં ફગાવ્યાં
કહેવાય છે કે મહિલા ધાર્યા પછી અસ્તિત્વ માટે કંઈ પણ કરી શકે છે અને એક વાર તે મક્કમ નિર્ધાર કરી લે પછી દુનિયાનું કોઈ બંધન તેને રોકી શકતી નથી, આવી જ એક હિંમતભરી લડત અમદાવાદની શિક્ષિત મહિલાએ આપી છે. જાણીતી સરકારી મેડિકલ કૉલેજની પૂર્વ કર્મચારીનો પરિચય મેટ્રીમોનિયલ સાઈટ પર અમિત ચોબે સાથે થયો ત્યારે તેમને અંદાજ પણ નહોતો કે લગ્નના પવિત્ર સંબંધની આડમાં એક રીઢો ઠગ તેની રાહ જોઈ રહ્યો છે. અમિતે ધીમે-ધીમે વિશ્વાસ જીત્યો અને પછી શરૂ થયો છેતરપિંડીનો સિલસિલો. તે ક્યારેક પોતાના બિઝનેસમાં ઈડીની રેડ પડી હોવાનું કહીને રકમ પડાવતો તો ક્યારેક પોલીસ કે જજને લાંચ આપવી પડશે તેમ કહીને મોટી રકમ મગાવતો. હદ તો ત્યારે થઈ જ્યારે તે દુબઈના મોટા ગ્રુપ સાથે બિઝનેસમાં રોકાણના નામે પણ પૈસા ખંખેરવા લાગ્યો. મહિલાએ કહ્યું કે મારી સાથે થઈ રહેલી છેતરપિંડીનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે બંને ઉજ્જૈનની મુલાકાતે હતા અને અચાનક મારા ફોનનું સોકેટ તૂટી ગયું, તમામ ડેટા ડિલિટ થઈ ગયો અને આઈક્લાઉડનો પાસવર્ડ પણ બદલાઈ ગયો. અમિતે આને માત્ર સોફ્ટવેર અપડેટની ભૂલ ગણાવીને વાત દબાવવાનો પ્રયાસ કર્યો પણ જ્યારે હું ફોન રિપૅર કરાવવા પહોંચી ત્યારે શોરૂમ તરફથી જણાવ્યું કે જાણીજોઈને ફોનને નુકસાન પહોંચાડાયું છે અને તમામ ફોટો ડિલિટ કરાયા હતા. પોતે છેતરાઈ હોવાનું સમજાતાં જ મહિલાએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. જ્યાં અમિતની કોલ ડિટેઇલ્સ તપાસતાં તે અન્ય છોકરીઓ સાથે પણ સતત વાતો કરતો હોવાનો ખુલાસો થયો. મેં આ તમામ છોકરીઓનો સંપર્ક કર્યો. મેં હિંમત ભેગી કરી અન્ય પીડિત મહિલાઓનો સંપર્ક કર્યો અને જાણ્યું કે દરેકની વાર્તા એક સરખી જ હતી. તેમાંથી દેવાસની એક મુસ્લિમ યુવતી સાથે વાત થઈ તેણે જણાવ્યું કે અમિતે લગ્ન કરવા માટે ઈસ્લામ ધર્મ અપનાવવા અને કલમા શીખી લેવાની પણ ખોટી વાત કરી હતી. મહિલાએ તેને રંગેહાથ પકડવા માટે જાળ બિછાવી. તેને દેવાસમાં મળવા બોલાવ્યો. ઝડપાઈ ગયો ત્યારે નફ્ફટાઈની હદ વટાવતાં પોલીસ સ્ટેશન પાસેના શિવ મંદિરમાં જ લગ્ન કરી લેવાની વાત કરી હતી. આટલી મોટી ઠગાઈ કરનાર સાથે લગ્નનો વિચાર પણ કઈ રીતે કરી શકાય તેવા મક્કમ સવાલ સાથે આ મહિલા આજે કોર્ટમાં કાનૂની લડાઈ લડી રહી છે. હજુ પણ આરોપીના લેપટોપ અને અન્ય મોબાઈલ જપ્ત કરવાના બાકી છે, પણ આ મહિલા હારી નથી. મોટી ઉંમરની કે પરિવાર દબાણ કરતા હોય તેવી મહિલાઓને શિકાર બનાવતોમહિલાએ કહ્યું કે મેં જેટલી મહિલાઓ સાથે વાત કરી તેમાં જાણવા મળ્યું કે અમિત ઉંમર વધુ હોય, પરિવાર તરફથી લગ્ન માટે દબાણ કરાતું હોય, નાની ઉંમરે છૂટાછેડા લીધા હોય અને બાળક પણ હોય તેવી મહિલાઓને જ શિકાર બનાવતો. તેથી તે બાળકને દત્તક લેવાની વાતથી લાગણી પણ જીતી જતો.
અમદાવાદ મેડિકલ ઍસોસિયેશન ખાતે સિનિયર સિટીઝન ક્લબ દ્વારા યોજાયેલા વિશેષ સત્રમાં 60 વર્ષથી વધુ વયના 200થી વધુ વડીલ ઉપસ્થિત રહ્યા હતા. વડીલો વધુ સ્વસ્થ, સક્રિય અને સ્વતંત્ર રહી શકે તે માટે સત્રમાં રોજિંદા જીવનમાં સીધો અમલ કરી શકાય એવા ઉપાયો આપવા સાથે નિષ્ણાત તબીબોએ માર્ગદર્શન આપ્યું હતું. કાનૂની હક્કો જાણવાનું પણ જરૂરી : ડૉ. ધીરેન મહેતાપરિવાર તરફથી સંભાળ ન મળે તો ‘મેઇન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન્સ એક્ટ, 2007’ હેઠળ જિલ્લા ટ્રિબ્યુનલમાં અરજી કરી માસિક ભરણપોષણ મેળવવાની વ્યવસ્થા છે. તાત્કાલિક સહાય માટે 14567 અને 112 હેલ્પલાઇન પર સંપર્ક કરી શકાય છે. અજાણ્યા લોકોને માહિતી શેર ન કરવી. રૂટિન નિયમિત બનાવવું જોઈએ : ડૉ. રવિ સોનીડિમેન્શિયા જેવી સ્થિતિમાં માત્ર દવાઓ પર નિર્ભર રહેવાને બદલે ‘કોગ્નિટિવ રિહેબિલિટેશન’ અને ‘બિહેવિયરલ એક્ટિવેશન’ જેવી થેરાપી અસરકારક બની શકે છે. તેમાં રૂટિન નિયમિત બનાવવું, મગજને સક્રિય રાખતી એક્સરસાઇઝ કરવી અને દૈનિક કામોમાં ફરી જોડાવાનું પ્રોત્સાહન મળે છે. ખોરાકમાં પોષણને પ્રાથમિકતા આપો : ડૉ. અભય દિક્ષિતખોરાકમાં સ્વાદ કરતાં પોષણને પ્રાથમિકતા આપવી, ઓછી કૅલરી અને ઓછા મીઠા સાથે પ્રોટીન-વિટામિનયુક્ત આહાર અપનાવવો જોઈએ. સાથેસાથે બાળપણમાં અધૂરા રહેલા શોખો, જેમ કે સંગીત, પૅઇન્ટિંગ અથવા ગાર્ડનિંગ ફરી શરૂ કરવાથી મન સક્રિય રહે છે અને જીવનમાં નવી તાજગી આવે છે.
એલએન્ડટી કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે સ્વીડનમાં ફરજ બજાવતા પતિ સામે પત્નીએ માનસિક હેરાનગતિની ફરિયાદ નોંધાવી છે. પતિએ પત્ની પર નજર રાખવા માટે ઘરમાં તેમ જ બેડરૂમમાં સીસીટીવી કેમેરા લગાવી સતત દેખરેખ રાખતો અને નાની-નાની બાબતોને લઈને માનસિક હેરાનગતિ કરતા પત્નીએ પતિ વિરુદ્ધ વાડજ પો. મથકે ફરિયાદ નોંધાવી હતી. અને કોર્ટમાં ભરણ પોષણનો કેસ દાખલ કર્યો હતો જ્યાં ફેમિલી કોર્ટે દર મહિને 45 હજાર ચૂકવવાનો આદેશ કર્યો હતો. નારણપુરાની યુવતીના લગ્ન 8 વર્ષ પહેલાં વાડજના યુવક સાથે થયા હતા. દંપતીને બે બાળકો છે. પતિના વર્તનથી કંટાળીને પત્ની પિયર આવી ગઈ હતી અને વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સ્કૂલ અને ટ્યૂશનની ફી પણ પતિએ ચૂકવવી પડશેપત્નીએ ફેમિલી કોર્ટમાં ભરણપોષણનો કેસ દાખલ કર્યો હતો. જ્યાં પત્ની તરફે વકીલ સંદીપ ક્રિષ્ટી દ્વારા પતિના સ્વીડન ખાતે નોકરી કરતા હોવાના પુરાવા તેમજ તેની આવકનો પુરાવો મૂકતા કોર્ટે પ્રાથમિક મહિને 25 હજાર આપવાનો આદેશ આપ્યો હતો. તેમ જ બંને બાળકોની શાળાની અને ટ્યૂશનની ફી પણ ચૂકવવાનો આદેશ કર્યો હતો.
શહેરની 18 બેન્કોમાં ગ્રાહકોએ નકલી, ફોટોકોપી કરેલી, ફાટેલી તેમજ ચિલ્ડ્રન બેન્કની રૂ.5.67 લાખની કિંમતની 1659 નોટો જમા કરાવી હતી. જો કે તમામ બેન્કોમાં નોટો ગણવા માટે તેમજ નોટની ખરાઈ કરવા માટે મશીન રાખવામાં આવ્યા છે. તેમ છતાં આટલી મોટી સંખ્યામાં નકલી નોટો અને ચિલ્ડ્રન બેન્કની નોટો આવતા બેન્કોની કામગીરી ઉપર પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. જુદી જુદી બેન્કોમાં ગ્રાહકો જે પૈસા જમા કરાવવા આવે છે. તેમાં ફાટી ગયેલી, નંબર દેખાતા ન હોય તેવી, નકલી નોટ બેન્ક દ્વારા અલગ રાખવામાં આવે છે. જ્યારે તમામ બેન્કો તે નોટો હેડ ઓફિસમાં મોકલી આપે છે અને ત્યાંથી તે નોટો એસઓજીમાં મોકલી દેવામાં આવે છે. જેના આધારે એસઓજીમાં ગુનો નોંધવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી ફોટોકોપી કરેલી નોટો તેમજ ચિલ્ડ્રન બેન્કની નોટો પણ બેન્કો એસઓજીમાં મોકલી રહ્યા છે. આ વખતે રૂ.5.67 લાખની કિંમતની 1659 નકલી નોટો આવી હતી. આ નોટો આઈસીઆઈસીઆઈ, એચડીએફસી, રિઝર્વ બેન્ક, કોટક મહિન્દ્રા, કાલુપુર, એકસિસ, બેન્ક ઓફ બરોડા, સારસ્વત, આઈડીબીઆઈ, એસબીઆઈ, એયુ સ્મોલ, ડીસીબી, નૂતન નાગરિક, આઈડીએફસી ફર્સ્ટ, યશ બેન્ક, રાજકોટ નાગરિક સહકારી, ફેડરલ અને સિટી યુનિયન બેન્કનો સમાવેશ થાય છે. જો કોઈ ગ્રાહક જાણી જોઈને નકલી નોટ પધરાવે તો તેના પર IPC ની કલમ 489-B (નકલી નોટોનો અસલી તરીકે ઉપયોગ) હેઠળ ગુનો બની શકે છે, જેમાં આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે. રૂ.2 હજાર અને રૂ.50ની પણ બનાવટી નોટો આવી
ચેન્નઈમાં જન્મેલા અને અમેરિકામાં સ્થાયી થયેલા ચંદ્રિકા કૃષ્ણમૂર્તિ ટંડન વિવિધ આંતરરાષ્ટ્રીય કંપનીમાં ટોચના પદે રહ્યાં છે. તેઓ મેકકિન્સે એન્ડ કંપનીમાં પ્રથમ ભારતીય-અમેરિકન મહિલા ભાગીદાર રહ્યા હતાં. બાદમાં તેમણે ટંડન કેપિટલ એસોસિએટ્સની સ્થાપના કરી. તેમજ NYU એન્જિનિયરિંગને $100 મિલિયનની ભેટ આપી હતી. વર્ષ 2025માં ત્રિવેણી આલ્બમ માટે તેમને ગ્રેમી મળ્યો હતો. હાલમાં તેમણે IIM-અમદાવાદમાં કૃષ્ણમૂર્તિ ટંડન સ્કૂલ ઓફ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સ્થાપવા માટે 100 કરોડ દાન કર્યા છે. આ નિમિત્તે અમદાવાદ આવેલા ચંદ્રિકા ટંડને ભાસ્કર સાથેની વાતચીતમાં સંગીત અને જીવન પ્રત્યેના અભિગમ વિશે મોકળા મને વાતો કરી હતી. વાંચો મુલાકાતના અંશ. ‘સફળતા, સંપત્તિ, ખ્યાતિ મળ્યા પછી પણ ખાલિપો સર્જાય છે, જેનું હિલિંગ જરૂરી છે’‘ફાસ્ટ પેસ ડિજિટાઈઝશન સાથે સફળતાની હોડમાં ચાલતી દુનિયામાં ‘સ્લો-હિલિંગ’ વ્યક્તિ માટે મેજિકલ સાબિત થઈ શકે છે. હવેનો સમય ‘મલ્ટિ ડાયમેન્શનલ’ પર્સનાલિટી ડેવલપ કરવાનો છે. એઆઈ અને ટેક્નોલોજીના સમયમા પણ માનવતા અને આંતરિક શાંતિ જ સૌથી મોટું મૂલ્ય છે. આ સાથે હ્યુમન કનેક્શન અને હિલિંગ માટે સંગીત આજે પણ શ્રેષ્ઠ માધ્યમ છે. 1. પર્સનલ ચોઈસથી શરૂ થયેલી સંગીતની જર્નીએ ગ્રેમી-માન્યતા પ્રાપ્ત કરી, આ સફર કેવી રહી?તે કુદરતી રીતે બન્યું. મેં ક્યારેય ખ્યાતિ કે શૉ ઓફ માટે સંગીતનો પીછો કર્યો નહીં...મેં વર્ષો સુધી ગાયનની પ્રેક્ટિસ ચાલું રાખી કારણ કે તે મને ખુશ કરતું હતું! મેં મારા સસરાના 90મા જન્મદિવસ માટે ભેટ તરીકે મારું પહેલું આલ્બમ બનાવ્યું. યુકે સ્થિત એક નિર્માતાએ તે સાંભળ્યું, તેને રિલીઝ કર્યું, અને તેને ચાહકો મળ્યા. એક પ્રોજેક્ટ બીજા પ્રોજેક્ટ તરફ દોરી ગયો, અને અંતે, મારા નામ સાથે નામાંકિત કરવામાં આવ્યો અને આ જર્નીને બાદમાં મને ગ્રેમી એવોર્ડ મળ્યો. 2. તમારું સંગીત ભારતીય આધ્યાત્મિક પરંપરાઓમાં ઊંડે સુધી મૂળ ધરાવે છે.?મારું મૂળ અને સંગીતનો પાયો બંને ભારતીય છે. ખાસ કરીને વૈદિક મંત્રોનો જાપ છે આ સંગીતની પ્રસ્તુતિ ગ્લોબલ છે. ફ્યુઝન મ્યુઝિક તૈયાર કરવા માટે પશ્ચિમી, જાપાની અને અન્ય ઈન્ટરનેશનલ મ્યુઝિશિયન સાથે કોલોબ્રેશન કરીને સાઉન્ડસ્કેપ બનાવું છું. બાદમાં હું મંત્ર રજૂ કરું છું, તેનો અર્થ સમજાવું છું અને તેને લોકો માટે સરળ બનાવું છું. 3. તમે સંગીત દ્વારા વેલ બિઈંગ અને હિલિંગ વિશે વાત કરો છો. અનુભવો શેર કરી શકો છો?સંગીતમાં હિલિંગ પાવર છે અને જ્યારે તેમાં મંત્રોની પવિત્રતા અને વાદ્યો સુગમતા ઉમેરાઈ છે ત્યારે ફક્ત સંગીત નથી રહેતું તે એનર્જીમાં કન્વર્ટ થાય છે. આ એનર્જી એક હિલિંગ પાવર ધરાવે છે જે વ્યક્તિને શાંતિ આપી શકવા સક્ષમ છે. કોઈએ મને કહ્યું કે ઓટીઝમ ધરાવતું તેમનું બાળક મારું સંગીત સાંભળીને જ શાંત થાય છે. બીજાએ શેર કર્યું કે તે કેવી રીતે પરિવારના સભ્યને વ્યસન દૂર કરવામાં મદદ કરે છે. તે સમયે, મને સમજાયું...સંગીતમાં હિલિંગ પાવર છે. 4. આજનું યૂથ વર્ક-લાઈફ બેલેન્સ માટે સંઘર્ષ કરે છે. આ વિશે તમારો દ્રષ્ટિકોણ શું છે?‘બેલેન્સ’ શબ્દ સાથે ઘણી ગેરસમજ જોડાયેલી છે. કારણ કે તેનું વધારે પડતું તાર્કિક મૂલ્યાંકન કરવામાં આવે છે. જીવન કલાકોને સમાન રીતે વહેંચવા વિશે નથી. તે તમે જે કરો છો તેમાં આનંદ અને અર્થ શોધવા વિશે છે. હું લાંબા કલાકો કામ કરું છું, પરંતુ હું જે કરું છું તે મને ગમે છે, હું રોજ ઉત્સાહિત થઈને જાગું છું. સૌથી અગત્યનું એ છે કે આપણે આપણા મનને કેવી રીતે ‘પાવરફૂલ’ બનાવવું તે શીખવાની જરૂર છે. 5. આજે તમે જીવનના કયા મુખ્ય સિદ્ધાંતો દ્વારા જીવો છો?હું મારા ચાર સ્તંભોનું પાલન કરું છું જેને હું મારા ચાર સ્તંભ કહું છું જે આ મારા દરેક નિર્ણયનું માર્ગદર્શન કરે છે. 6. વેલ બિઈંગ વિશે તમે શું મેસેજ આપવા માંગો છો?વેલ બિઈંગવી શરૂઆત તમારી જાતથી કરો. તમે દુનિયાને નિયંત્રિત કરી શકતા નથી, પરંતુ તમે તમારી આંતરિક સ્થિતિને બદલી શકો છો. જ્યારે તમે અંદર સ્થિરતા અને સ્પષ્ટતા કેળવો છો, ત્યારે બહારની દરેક વસ્તુ એકરૂપ થવા લાગે છે. તમારી આંતરિક દુનિયાને ઠીક થશે બાદમાં બાહ્ય દુનિયા તેને આપોઆપ અનુસરશે. 7. એઆઈ-ટેક ડેવલપમેન્ટ અને હ્મુમન વેલ્યૂનું મહ્ત્વ - આ વિશે તમારો મંતવ્ય શું છે?આપણે ફક્ત બુદ્ધિ પર જ નહીં, પણ માનવતા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. જ્યારે ટેકનોલોજી આગળ વધી રહી છે, ત્યારે માનવીય ગુણો વધુ મહત્વપૂર્ણ બની રહ્યા છે. જેમ ટેક્નોલોજી વધશે તેમ મશીન વધશે અને ત્યારે આર્ટ, કૌશલ્યો, પ્રશ્નો પૂછવા તેમજ હ્યુમન બિહેવિયર જેવા મૂલ્યોનું મહત્વ દરેક ક્ષેત્રે વધશે. આંતરિક શક્તિ, નીતિશાસ્ત્ર અને વેઈબિઈંગ પણ એટલી જ મહત્વપૂર્ણ રહેશે.
ક્યારેક પરિવારની એક સરળ પરંતુ સંવેદનશીલ ઈચ્છા હજારો લોકો માટે આશા બની જાય છે. ખેડાના પીંજ ગામના વતની અને ચાર દાયકાથી અમેરિકામાં વસતા નરેન્દ્ર પટેલે બહેન ઉર્વશીની અંતિમ ઈચ્છાને જીવનનો સંકલ્પ બનાવી દીધો છે. ‘પૈસા લોકોના કામ આવે’ એવી બહેનની આ વાતને સાકાર કરવા તેમણે સિવિલ હોસ્પિટલને 3 વર્ષમાં રૂ. 2.25 કરોડનું દાન આપ્યું છે. આ દાનથી હોસ્પિટલમાં આધુનિક સાધનો અને દર્દીઓને સીધી મદદરૂપ સુવિધાઓ ઊભી થઈ રહી છે. મૂળ ખેડાના વસો તાલુકાના પીંજ ગામના વતની અને 40 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા 80 વર્ષીય નરેન્દ્રભાઈ પટેલના જણાવ્યા મુજબ, સાડીની દુકાન ચલાવીને પાઈ પાઈ ભેગી કરનારા તેમનાં ઉર્વશીબહેનનું 13 જાન્યુઆરી 2022ના રોજ અવસાન થયું હતું. પરોપકારી સ્વભાવનાં ઉર્વશીબહેને તેમના વિલમાં ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેમના ગયા બાદ તેમનાં નાણા અને મિલકતના વેચાણ બાદ એકઠી થયેલી તમામ રકમ મંદિરમાં કે કોઈ વ્યક્તિને નહીં આપીને પૈસા લોકોના ઉપયોગમાં આવે એવી સુવિધા માટે વાપરજો. બહેનનો આ મેસેજ મારા માટે પ્રેરણાસ્ત્ર બની ગયો. દાન ઉપરાંત તેઓ વિદ્યાર્થીઓને યુનિફોર્મ, નોટબુક, પેન-પેન્સિલ આપ્યાં છે. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કોઈ એકે કરેલું સૌથી વધુ ડોનેશનસિવિલના સુપરિન્ટેન્ડન્ટ ડો. રાકેશ જોશીના જણાવ્યા મુજબ, નરેન્દ્ર પટેલે દિવંગત બહેનની અંતિમ ઇચ્છાને પૂરી કરવા સિવિલને 3 વર્ષમાં 2.25 કરોડનું દાન કર્યું છે, જે સિવિલના ઇતિહાસમાં એક જ વ્યક્તિ દ્વારા કરાયેલું સૌથી વધુ દાન છે. દાનની રકમમાંથી હોસ્પિટલમાં આઈસીયુ ઓન વ્હીલ, એક્સ-રે મશીન, બે અલ્ટ્રા સાઉન્ડ મશીન વસાવાયું છે, જ્યારે બાળકો માટેના ‘ચાલો રમીએ ગાર્ડન’ પ્રોજેક્ટમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.
મંડે મેગા સ્ટોરી:રિંગરોડ પર 40 કટ બંધ, ટ્રાફિક ફરિયાદો શૂન્ય, 76 કિમીની મુસાફરીમાં કલાકનો સમય બચશે
76 કિલોમીટરમાં ફેલાયેલા રિંગરોડ પર નાનામોટા 40 કટ બંધ કરીને તેને ટ્રાફિક ફ્રી કરી દેવાયો છે. એક આખો રિંગરોડ પસાર કરવામાં કારમાં અઢી કલાક અને ટુવ્હીલર પર 2.30 કલાક લાગતા હતા, તે સમય ઘટીને હવે 50થી 60 મિનિટનો થઈ ગયો છે. રિંગરોડ પરનાં જે સર્કલ પર જ્યાં 15થી 20 મિનિટ ટ્રાફિક જામમાં ફસાવવું પડતું હતું ત્યાં હવે 2 મિનિટમાં નીકળી જવાય છે. કટ બંધ કરવાને કારણે ટ્રાફિક જામના મેસેજ પણ બંધ થઈ ગયા છે. પહેલાં રિંગરોડ પર ટ્રાફિકના રોજ સરેરાશ 20 મેસેજ મળતા હતા. રિંગરોડ બાદ હવે એસજી હાઈવે પર પણ કટ બંધ કરવા માટે સરવે ચાલી રહ્યો છે. હાલ ગોતા, સોલા પાસે બે કટ બંધ કરાયા છે અને પેલેડિયમ મોલનો કટનો અભ્યાસ કરી તેને બંધ કરવા તૈયારી ચાલી રહી છે. ત્યાર બાદ ઇસ્કોન, વાયએમસીએ, પ્રહલાદનગર, કર્ણાવતી ક્લબ, થલતેજ ચાર રસ્તા પર પણ કટ બંધ કરવા માટે સરવે કરવામાં આવશે. 22 ચાર રસ્તા હવે સિગ્નલ ફ્રી થઈ ગયાબોપલ, શીલજ, સાયન્સ સિટી, ઓગણજ, સિંધુ ભવન, ઝુંડાલ, નાના ચિલોડા, ભાડજ, ઓઢવ, વસ્ત્રાલ, રામોલ, દાસ્તાન, જશોદાનગર, શાંતિપુરા, અસલાલી, નારોલ, હાથીજણ, વટવા, બાકરોલ, તપોવન, ભાટ, રણાસણ પર પીકઅવર્સમાં જામ રહેતો હતો. આ ચાર રસ્તાની નજીકના કટ બંધ કરી સિગ્નલ ફ્રી કરાયા છે. આઠ બ્લેક સ્પોટ પર અકસ્માતો ઘટી ગયએસપી રિંગરોડ પર ઓઢવ, દાસ્તાન, અસલાલી, શાંતિપૂરા, બોપલ, શીલજ, હાથીજણ, નાના ચિલોડા ચાર રસ્તા પર સૌથી વધારે અકસ્માત થયા હતા. આ આઠ ડાર્ક સ્પોટ હતા, પરંતુ કટ બંધ કરવાથી, ફ્રી લેફટ ટર્ન, સિગ્નલ ફ્રી કરવાથી તથા ટ્રાફિક પોલીસની હાજરીના કારણે અહીં અકસ્માતો ઘટી ગયા છે. દોઢ લાખથી વધુ વાહનો પસાર થતાં હોવાથી સ્થિતિ ગંભીર હતીરિંગરોડ પરથી રોજના 1.30 લાખથી 1.50 લાખ વાહનો પસાર થાય છે. આટલી મોટી સંખ્યામાં રિંગ રોડ પરથી વાહન પસાર થતા હોવાથી ટ્રાફિક જામ થતો હતો, જે ગંભીર સમસ્યા બની ગઈ હતી. હાલ કટ બંધ કરવાને કારણે ટ્રાફિક હળવો થયો છે. ટ્રાફિક જામના મેસેજ પણ ઝીરો થઈ ગયા છે. હાલ રિંગરોડ પરના દરેક નાના-મોટા ચાર રસ્તા પર ટ્રાફિકના 250 કર્મચારીને ડ્યૂટી ફાળવવામાં આવી છે. - નરેશ કણઝરિયા, ટ્રાફિક ડીસીપી મોટા સર્કલ પર જ્યાં 15-20 મિનિટ જામમાં ફસાવવું પડતું હતું, ત્યાં હવે 2 મિનિટ રિંગરોડ પર મોટાં 30 સર્કલ આવેલાં છે. તેમાંથી મોટા ભાગનાં સર્કલ પર પીકઅવર્સમાં તેમ જ રાતના સમયે ટ્રાફિક જામ રહેતો હતો, જેના કારણે વાહનચાલકોને એક મોટું સર્કલ પાર કરતા લગભગ 15થી 20 મિનિટનો સમય લાગતો હતો. કટ બંધ કરવાને કારણે હવે માત્ર 2 મિનિટમાં સર્કલ પરથી પસાર થઈ જવાય છે.
અભયમની સરાહનીય કામગીરી:સાસરિયામાંથી કાઢી મૂકેલી પીડિતાનું અભયમે પરિવાર સાથે મિલન કરાવ્યું
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ગામની એક ઘટના સામે આવી હતી જેમા 181 અભયમ મહિલા હેલ્પલાઇન ની ટીમે પ્રસંશનીય કામગીરી કરી મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. બરવાળા તાલુકાના ગામમાં ત્રણ દિવસથી એક અજાણી મહિલા ભટકતી હતી. એક જાગૃત નાગરિકે 181 અભયમ મહિલા હેલ્પલાઈનને મહિલાની મદદ માટે સંપર્ક કર્યો હતો. અભયમ ટીમના કાઉન્સિલર ખુશ્બુબેન પટેલ, કોન્સ્ટેબલ એકતા બેન ગાબુ અને ડ્રાઇવર નરેન્દ્રભાઈ મહિલાની મદદ માટે તાત્કાલિ ક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ટીમ દ્વારા મહિલાનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું કે, મહિલા પરિણીત છે અને તેના સાસ રીયા ઓ સાથે પારિવારિક ઝઘડો થતાં તેઓએ મહિલાને ઘરેથી કાઢી મૂકી હતી. અભયમ ટીમે મહિલા પાસેથી સાસરી અનેપિયર પક્ષ અંગે માહિતી માંગતા મહિલા અસ્વસ્થ હોવાથી યોગ્ય સરનામું આપી શકતા ન હતા. ત્યારબાદ અભયમ ટીમે બરવાળા અને રાણપુર તાલુકાના પોલીસ સ્ટેશન ખાતે સંપર્ક કરી મહિલા સંબંધિત સમગ્ર વિગતો આપી હતી. આ ઉપરાંત, અભયમ ટીમે મહિલાને તેમના ઘર- પરિવારની વિગતો ના મળે ત્યાં સુધી સખી વન સ્ટોપ સેન્ટર ખાતે સુરક્ષિત આશ્રય પણ અપાવ્યો હતો. ત્યાર બાદ અંતે અભયમ ટીમ અને પોલીસ સ્ટેશનના સત્તત પ્રયત્નોથી મહિલાના ઘર પરિવારની જરૂરી વિગતો મળી અને યોગ્ય તપાસ કરી મહિલાને તેમના પરિવાર સાથે સુ:ખદ સમાધાન કરાવી મિલન કરાવ્યું હતું. આમ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ની ટીમ દ્વારા સાસરીયાઓએ પરિવારમાંથી કાઢી મૂકેલી પિડિત મહિલાને સુરક્ષિત તેના ઘરે પહોંચાડી હતી.
ભાસ્કર ન્યૂઝ|સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં થાન,મૂળી અને સાયલા પંથકમાં ગેરકાયદેસર કાર્બોસેલની ચોરી કરનારા ભૂમાફિયાઓ હાલ તો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.ત્યારે ચોટીલા અધિક કલેકટરે રવીવારના દિવસે ગુગલીયાણામાં પાડેલા દરોડામાં મૃત વ્યકિતના નામે રોયલ્ટી ચલાવીને પાસ આપવામાં આવતા હોવાના કૌભાંડનો પર્દાફાશ કરતા ખળભળાટ મચી ગયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં થાન, સાયલા અને મૂળી પંથકના ગામડાઓમાં અખુટ કાર્બોસેલનો જથ્થો આવેલો છે. આ કાળો કોલસો ભૂમાફિયાઓ માટે સોનાની ખાણ સમાન બની ગયો છે.પરંતુ ચોટીલા અધિક કલેકટર એચ.ટી.મકવાણાએ ખનીજ ચોરો માથે અજગરી ભરડો લેતા ભૂમાફિઆઓ ભાગતા થઇ ગયા છે. ત્યારે રવિવારે થાનના ગુગલીયાણા ગામમાં આવેલી કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝની ઓફિસમાં દરોડો કરાયો હતો. જેમાં આજથી 5 વર્ષ પહેલા કોરોનામાં મૃત્યુ પામેલા રોયલ્ટી પરવાનેદાર સ્વ હસુભાઇ સચદેવના નામના 774 રોયલ્ટી પાસ મળી આવ્યા હતા. આ કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝ ચલાવતા કૌશિકભાઇ ઘનશ્યામભાઇ જાદવ અને તેમના ભાઇ રાકેશભાઇ ઘનશ્યામભાઇ જાદવ સામે કાર્યવાહી કરીને ઓફિસ તો સીલ કરવામાં આવી છે.સાથે સાથે બનાવની જગ્યાએથી ખનીજ ચોરી માટે વાપરવામાં આવતા ડમ્પર, લોડર, હિટાચી સહિતનો સામાન જપ્ત થયો છે. રૂ.75ના પાસના રૂ.500 લેવામાં આવે છે સામાન્ય રીતે એક પાસના કાયદેસર રીતે ભાવ રૂ.75 છે. પરંતુ ગેરકાયદેસર કોલસો કાયદેસર કરવા આ પાસની ખાસ જરૂર હોવાથી અત્યારે એક પાસના રૂ.400 થી રૂ.500 લઇ ભાવ વસૂલવામાં આવે છે. હાલ થાન અને મૂળી પંથકમાં ખાણખનીજ વિભાગ દ્વારા કુલ 31 જગ્યાએ લીઝ અપાઇ છે. તમામ લીઝમાં કોલસો ખલાસ થઇ ગયો છે. આજુ બાજુના સરકારી ખરાબામાંથી લીઝની આડમાં કાર્બોસેલની ચોરી કરવામાં આવી રહી છે. ચોરવીરા, ઇશ્વરીયા, ચિત્રલેખામાં પાસનો ઉપયોગ થતો હતોસામાન્ય રીતે જે જગ્યાની લીઝ હોય તે જગ્યાએથી જ રોટલ્ટી પાસ ઇશ્યૂ કરવામાં આવાનો નિયમ છે. પરંતુ અહિયા લીઝથી 5 કિમી દૂર રોયલ્ટી પાસ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા.બીજી મહત્વની બાબત એ છે કે, થાનની લીઝના પાસના આધારે સાયલાના ચોરવીરા, ઇશ્વરીયા અને ચિત્રલેખા ગામમાં ગેરકાયદેસર કોલસો કાઢીને તેને કાયદેસર કરવાનું પણ કૌભાંડ ચાલતુ હતુ. તપાસમાં મોટી સંખ્યામાં ફાડેલા પાસ પણ જોવા મળ્યા હતા. > એચ.ટી.મકવાણા, ચોટીલા અધિક કલેકટર
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર કેન્દ્ર સરકારના એક મોટા નિર્ણયના રહ્યા. હવે પેટ્રોલ પંપ પર પણ કેરોસીન મળશે. બીજા મોટા સમાચાર ઈઝરાયેલના કેમિકલ પ્લાન્ટ પર હુમલો થવાના રહ્યા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી આસામ અને પુડુચેરીના ભાજપ કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. 2. લોકસભામાં નક્સલ મુક્ત ભારતને લઈને સરકારના પ્રયાસો પર ચર્ચા થશે. કાલના મોટા સમાચારો 1. ઇઝરાયલના કેમિકલ પ્લાન્ટ પર ઇરાનનો હુમલો:ઝેરી લીકેજની ચેતવણી; લોકોને આદેશ- ઘરમાં રહો, બારીઓ બંધ રાખો ઈરાને દક્ષિણ ઇઝરાયલમાં ADAMA કંપનીના એક કેમિકલ પ્લાન્ટ પર મિસાઈલ હુમલો કર્યો છે, જેના કારણે પ્લાન્ટમાં ભીષણ આગ લાગી ગઈ છે. આનાથી વિસ્તારમાં ઝેરી લીકેજનો ખતરો ઉભો થયો છે. એક વ્યક્તિ ઘાયલ પણ થયો છે. હુમલો નિયોત હોવાવ ઇન્ડસ્ટ્રિયલ ઝોનમાં થયો, જે બીયરશેવા શહેરથી લગભગ 9 કિલોમીટર દૂર આવેલો છે. હુમલા બાદ અધિકારીઓએ આસપાસના લોકોને ઘરોમાં રહેવા અને બારીઓ બંધ રાખવાની સલાહ આપી છે, કારણ કે પ્લાન્ટમાં ખતરનાક કેમિકલ હાજર છે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. નાણા મંત્રાલયે સ્વીકાર્યું અર્થતંત્રની ગતિ ધીમી:મોંઘું ક્રૂડ ઓઈલ-લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન બગડવાની અસર, મોંઘવારી વધવાના સંકેત નાણા મંત્રાલયે માર્ચ 2026નો પોતાનો માસિક આર્થિક સમીક્ષા અહેવાલ બહાર પાડ્યો છે. આ અહેવાલ મુજબ, ભારતીય અર્થતંત્રની ગતિ હવે થોડી ધીમી પડી શકે છે. તેનું સૌથી મોટું કારણ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો તણાવ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની વધતી કિંમતો છે. મંત્રાલયે સ્વીકાર્યું છે કે આ બાહ્ય આંચકાઓને કારણે દેશમાં ઇનપુટ કોસ્ટ એટલે કે ઉત્પાદન ખર્ચ વધી ગયો છે, જેનાથી આર્થિક ગતિવિધિઓ પર દબાણ જોવા મળી રહ્યું છે. સંપૂર્ણ સમાચાર વાંચો 3. PM મોદીએ કહ્યું- યુદ્ધના કારણે દુનિયામાં પેટ્રોલ-ડીઝલની કટોકટી:ભારત પડકારનો સામનો કરી રહ્યું છે, અફવાઓથી બચો; સરકારની માહિતી પર ભરોસો કરો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતના 132માં એપિસોડમાં અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો ઉલ્લેખ કર્યો. પીએમએ કહ્યું કે દુનિયામાં યુદ્ધ ચાલી રહ્યું છે. પેટ્રોલ-ડીઝલનું સંકટ ઊભું થયું છે પરંતુ ભારત આ પડકારનો સામનો કરી રહ્યું છે. સરકાર લોકોને અપીલ કરે છે કે કોઈપણ પ્રકારની અફવાઓમાં ન આવે. સરકાર તરફથી મળેલી માહિતી પર ભરોસો કરે. કેટલાક લોકો માહોલ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેનાથી તેઓ દેશને નુકસાન પહોંચાડી રહ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો 4. ટ્રમ્પ ન ઘરના રહ્યા ન ઘાટના, પોતાના જ દેશમાં ઘેરાયા:ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ વિરુદ્ધ 'No Kings Protest', લાખ લોકો રસ્તા પર ઊતર્યા ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ફરી એકવાર મોટા પાયે પ્રદર્શનો શરૂ થયા છે. અમેરિકાના અનેક શહેરોમાં ટ્રમ્પ વિરુદ્ધ આ પ્રદર્શનો થઈ રહ્યા છે. આ પ્રદર્શનોને 'નો કિંગ્સ પ્રોટેસ્ટ' (No Kings Protest) નામ આપવામાં આવ્યું છે. ટ્રમ્પ વિરુદ્ધ 'નો કિંગ્સ પ્રોટેસ્ટ'નો આ ત્રીજો તબક્કો છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે તેઓ ટ્રમ્પની નીતિઓનો વિરોધ કરી રહ્યા છે. આ નીતિઓમાં ઈરાન સાથેનું યુદ્ધ, ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધના કાયદા અને વધતી જતી મોંઘવારી સામેલ છે. સંપૂર્ણ સમાચાર વાંચો 5. નેપાળ સરકારે વિદ્યાર્થી રાજકારણ પર પ્રતિબંધ મૂક્યો:5માં ધોરણ સુધી પરીક્ષાઓ નાબૂદ કરવામાં આવી, સ્કૂલ-કોલેજોએ તેના વિદેશી નામ બદલવા પડશે નેપાળમાં વડાપ્રધાન બાલેન શાહની સરકારે વિદ્યાર્થી રાજકારણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે જ ધોરણ 5 સુધીના બાળકો માટે પરંપરાગત પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી છે અને શાળાઓ-કોલેજોને તેમના વિદેશી નામો બદલીને નેપાળીમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. સરકારે શનિવારે રાત્રે જાહેર કરેલા આદેશમાં જણાવ્યું હતું કે આ તમામ નિર્ણયો તેના 100 દિવસના એક્શન પ્લાન હેઠળ લેવામાં આવ્યા છે, જેનો ઉદ્દેશ્ય શિક્ષણને રાજકારણથી દૂર રાખવાનો અને તેને સુધારવાનો છે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. ભર ઉનાળે બીજુ માવઠુ, અમરેલીમાં રોડ પલળી ગયાં:આજે 11 જિલ્લામાં વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી, 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે ઉનાળામાં આકરી ગરમીની શરૂઆત થયા બાદ રાજ્યમાં ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે માવઠાની સાથે 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે. ભરઉનાળે વાતાવરણમાં પલટો આવતા ગરમીમાં રાહત મળી છે, પરંતુ ખેડૂતોની ચિંતા વધી છે. ખાંભા ગીરના ગામડાઓમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાંભાના જીક્યાળી, ધજડી, વાંકિયા સહિત ગામડાઓમાં કમોસમી વરસાદી ઝાપટા વરસ્યા હતાં. ભર ઉનાળે કમોસમી વરસાદથી કેરી તલ, બાજરી સહિત પાકને નુકસાનની ભીતિથી ધરતી પુત્રોમાં ફરીવાર ચિંતા ફેલાય છે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. 'શ્રમિકો માટે 5 KGના સિલિન્ડરની વ્યવસ્થા કરાઈ':ગેસ સપ્લાય પર હર્ષ સંઘવીની સમીક્ષા બેઠક, કહ્યું- 'ભૂખ્યા કારીગરોને જમાડવા સુરતમાં 118 કોમ્યુનિટી કિચન કાર્યરત' મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ સંઘર્ષ અને વૈશ્વિક કટોકટીની પરિસ્થિતિને ધ્યાને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને સુરતના ICCC સેન્ટર ખાતે સુરત તેમજ અંકલેશ્વર, વાપી, ભરૂચ સહિતની દક્ષિણ ગુજરાતના વિવિધ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે કામદારો, ગેસ સપ્લાયને લગતા પ્રશ્નો બાબતે ઉચ્ચતરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ઉદ્યોગ મંડળો અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ગેસ સપ્લાય અને કારીગરોની વ્યવસ્થાઓ જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ હિમાચલ સહિત 7 રાજ્યોમાં કરા પડી શકે છે:રાજસ્થાનમાં 2 દિવસ વાવાઝોડા-વરસાદનું એલર્ટ; ઉત્તરાખંડમાં હિમવર્ષાની સંભાવના (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. વિદેશઃ પાકિસ્તાનના પૂર્વ સેના પ્રમુખ કમર બાજવાનું મોત:બાથરૂમમાં લપસી પડવાથી માથામાં ગંભીર ઈજા થઈ હતી, 1 મહિનાથી હોસ્પિટલમાં હતા (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ નાનાના ઘરે વેકેશન કરવા આવ્યા ને મોત મળ્યું:બેકાબૂ થારે બે બાળકો સહિત વૃદ્ધને કચડ્યા, 30 ફૂટ દૂર ફેંકાયા; પળવારમાં જ 3 જિંદગીઓ ખતમ (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. વિદેશઃ પાકિસ્તાની ડેપ્યુટી PM લપસી પડ્યા:સાઉદી-ઈજિપ્તના મહેમાનોનું સ્વાગત કરવા ગયા ને બેલેન્સ બગડ્યું, વિદેશી મહેમાન સામે ભારે ફજેતી થઈ; VIDEO વાઇરલ (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. સ્પોર્ટ્સઃ હરભજનનો પિત્તો છટક્યો:ટ્રોલર સામે બાકાઝીકી બોલાવી; IPLના પૈસા સામે PSL લાચાર, મોહસીન નકવી શરમમાં મુકાયા (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. ધર્મઃ ઉત્તરાખંડામાં પહાડની ટોચ પર રહસ્યમયી 'ગુફા તળાવ':શિવલિંગ પર સતત ટપકતાં જળથી આપમેળે બને છે કંકુ-ચંદન! પુરાતત્વ વિભાગ તપાસ હાથ ધરશે (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. બિઝનેસઃ એપ્રિલમાં 14 દિવસ બેંકોમાં કામ નહીં થાય:4 રવિવાર અને 2 શનિવાર ઉપરાંત જુદી જુદી જગ્યાએ 8 દિવસ બેંકો બંધ રહેશે (સંપૂર્ણ સમાચાર વાંચો) ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ પાકિસ્તાનીઓએ ‘ધુરંધર 2’ની કમાણીમાં હિસ્સો માંગ્યો ફિલ્મ ‘ધુરંધર 2’ એ 1,226 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. આ દરમિયાન પાકિસ્તાનના લ્યારીમાં ફિલ્મને લઈને અનોખી માંગ ઉઠી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ફિલ્મની કમાણીનો ઉપયોગ લ્યારીના વિકાસ અને રસ્તાઓના નિર્માણમાં કરવો જોઈએ. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. સંડે જઝબાત: તેમણે હેલિકોપ્ટરથી લાશ મોકલી, અમે ટ્રેનો ભરી દેશું: દિલ્હીવાળાઓએ દીકરાની મારમારીને હત્યા કરી, કારણ કે અમારા ચહેરા અલગ છે 2. 40 હજારમાં આખું હેલિકોપ્ટર પડાવી લીધું!: પ્રેમિકાની હત્યા કરાવી, પછી સ્મશાનમાં તેની લાશ સાથે લગ્ન કર્યાં; ડી-ગેંગના ઠગ-નેતા રોમેશ શર્માની ક્રાઇમ કથા 3. યુદ્ધના સમયે સ્ટોક માર્કેટમાં રોકાણ કરવું કે નહીં?: ઇન્વેસ્ટર્સની અસમંજસ-અત્યારે શેર વેચવા કે ખરીદવા, એક્સપર્ટની 3 નિયમોનું પાલન કરવાની સલાહ 4. આજનું એક્સપ્લેનર: યુદ્ધના 29મા દિવસે પહેલીવાર હુતીએ પણ ઇઝરાયલ પર મિસાઈલ છોડી; હવે યુદ્ધ કેવી રીતે ફેલાશે, શું વધુ એક શિપિંગ રૂટ બંધ થશે 5. ‘મેં જ આસારામને તાંત્રિક વિધિઓ શિખવાડી હતી’: તપાસ પંચ સમક્ષ એક અઘોરી બાબા જુબાની આપવા આવ્યા; જુઓ ‘આસારામ’ સિરીઝના 20 એપિસોડ એકસાથે 6. ઓછું પાણી પીવાની ટેવ કિડની ફેલ કરી નાખશે: ડિહાઇડ્રેશનના આ 16 સંકેતોને અવગણશો નહીં, ઉનાળામાં 10 બાબતોનું ખાસ ધ્યાન રાખો ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ સોમવારનું રાશિફળ: વૃષભ અને કુંભ રાશિના અટકેલા નાણાં પરત મળશે, સિંહ જાતકોને વેપારમાં મોટો ફાયદો થશે (સંપૂર્ણ સમાચાર વાંચો)
હાલ ઉનાળાની સીઝન શરૂ છે આગામી સમયમાં ઉનાળા ની ઋતુ વધતી જશે જેનાથી હીટવેવ થવાની શક્યતાઓ પણ વધતી જશે. સખત ગરમીની ઋતુમાં અને સ્વાસ્થ્ય માટે ઉપયોગી જરૂરી ખોરાક અને પીણું યોગ્ય માત્રામાં લેવામાં આવે તો સ્વા સ્થ્ય તંદુરસ્ત રહે છે. ઉપરાંત જે લોકો મેદસ્વિતાનો ભોગ બનેલા હોય તે લોકોએ ઉનાળાની ઋતુમાં ખોરાક અને પીણાં જરૂરી માત્રામાં આરોગે તો મેદસ્વિતા નિવારવામાં મદદરૂપ થઈ શકે છે. ઉનાળામાં પૂરતું પાણી, તાજા ફળોના ખાંડ વિનાના જ્યુસને પીવાથી સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. જેમાં નાળિયેર પાણી, લીંબુ પાણી અને છાશનું સેવન કરવાથી શરીર હાઇડ્રેટેડ રહે છે અને મેદસ્વિતા નિયંત્રિત કરવામાં મદદ મળે છે. આ પીણા કેલરીમાં ઓછા હોય છે, પાચનમાં સુધારો કરે છે, શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢે છે અને કુદરતી રીતે ઉર્જા પૂરી પાડીને વજન ઘટાડવામાં સહાયક પણ બને છે. દિવસ દરમિયાન નિયમિત અંતરે માટલાનું પાણી પીવું, જે શરીરમાં ખનિજો અને ગ્લુકોઝનું સંતુલન જાળવી રાખે છે. મોસંબી, દાડમ, તરબૂચ અને કેરી સહિતના મોસમી ફળોના રસ મર્યાદિત પ્રમાણમાં આરોગવામાં આવે તો શરીરને શક્તિ મળી રહે છે. ઉપરાંત, વરિયાળીનું પાણી, ફુદીનાનું પાણી અને તાજી છાશ પાચનતંત્ર મજબૂત કરી વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. પેકેજ્ડ જ્યુસ અને ખાંડવાળા ડ્રિંક્સને બદલે ઘરે બનાવેલા ફ્રેશ જ્યુસ પીવાથી કેલરી પર નિયંત્રણ લાવી શકાય છે. આ પગલાં ઓ શરીરમાં હાઇડ્રેશન જાળવીને અને પાચનમાં સુધારો કરીને વધારાનું વજન ઘટાડવામાં મદદ કરે છે.
શિક્ષકોનું કરાયું સન્માન:બોટાદ જિલ્લાના 100 શિક્ષકનું શ્રેષ્ઠ શિક્ષક પ્રતિભા એવોર્ડથી ખાસ સન્માન
જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા હરીઓમ પાર્ટીપ્લોટ, ગઢડા રોડ, બોટાદ ખાતે શિક્ષક ટ્રેનિંગ સ્વાગત શિક્ષક સન્માન એમ ત્રિવિધિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આઇડિયલ એક્સપિરિયન્શિયલ લીમિંગ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર અને સીઇઓ કરીશ્મા સંઘવી ના સૌજન્યથી યોજાયેલ આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લાના 100 જેટલા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પ્રતિભા એવોર્ડથી નવાઝવામાં આવ્યાં હતાં આ પ્રસંગે સ્વામિનારાયણ ગુરુકૂળ, બોટાદના પ.પૂ. માધવસ્વામી, મનહરભાઈ રાઠોડ મહામંત્રી , સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાત ,ડો. ભરતસિંહ વાઢેર જિલ્લા શિક્ષણાધિકારી બોટાદ,અવિનાશભાઈ પટેલ ઉપાધ્યક્ષ સ્વનિર્ભર શાળા સંચાલક મહા મંડળ ગુજરાત શાળા સંચાલક મંડળના પ્રમુખ હરેશભાઈ ધાધલ, મહામંત્રી મનોજભાઈ મિયાણી સહિત ના ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એવોર્ડ વિજેતા શિક્ષક પ્રવીણભાઈ ખાચર દ્વારા કરાયું હતું તેમજ કાર્યક્રમને સફળ બનાવવા બોટાદ સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.આ રીતે આ કાર્યક્રમ સફળ થયો હતો.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:સિરામિક ઉદ્યોગના શટડાઉનથી 2 લાખ શ્રમિકના પેટ પર પાટું
મધ્યપૂર્વના દેશો વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધે મોરબીના રોજનું કમાઈને રળી ખાતા 2 લાખથી વધુ શ્રમિકને બેરોજગાર કરી નાખ્યા છે. જેમાં સીરામીક ઉદ્યોગને વિશ્વની ટોચે પહોંચાડવામાં જેમનો સિંહ ફાળો છે તેવા લાખો કામદારોનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. ગેસની કટોકટીને કારણે સિરામિક ઉદ્યોગના 90 ટકા એટલે 600 જેટલા કારખાનાઓએ એક માસનું શટડાઉન જાહેર કરતા શ્રમિકોના મનમાં ફાળ પડી છે. કેમકે 20 દિવસથી કારખાનાઓ બંધ હોવાથી ઘરે રહેલા મજૂરોને ઘરનું ભરણપોષણ કેવી રીતે ચલાવવું તેની ચિંતા સતત ઉધઇની જેમ કોરી ખાય છે. જો કે કારખાના ચાલુ હોય ત્યારે પણ ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બને છે. તો કારખાના બંધ થઈ ગયા એટલે ઘરનો ગુજારો કેવી રીતે કરવો? એ વિચાર જ કંપારી પ્રસરાવી દે તેવો છે. મોટા બહેન સફાઈ કામ કરી ગુજરાન ચલાવે છેકારખાનાના ગોડાઉનમાં સતત 12 કલાક માલ લોડ એટલે ટાઇલ્સ ભરેલા બોક્સને ઉઠાવીને વ્યવસ્થિત ગોઠવીને મહિનો સુધી મજૂરી કરું ત્યારે 15 કે 18 હજારનો પગાર મળે છે. પણ કારખાનું બંધ થઈ જતા આવક પણ બંધ થઈ ગઈ છે. અમારું ચાર સભ્યોનું કુટુંબ છે. એમાં કમાનાર હું અને મારા મોટા બહેન જ છે. મારું કામ બંધ થઈ ગયું એટલે મારી બહેન કારખાનામાં સફાઈ કામ કરીને મહિને 5 હજાર કમાઈ લાવે છે. - કાનજી માવજી સોલંકી, શ્રમિક કારખાના ચાલુ ન થાય તો સ્થિતિ નાજુકમારું કારખાનું તો 25 દિવસથી બંધ છે. અમે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ. કારખાના બંધ થવાથી રોજગારી છીનવાઈ જતા અમે પડી ભાંગ્યા છીએ. અત્યારે હાલત તો કપરી છે જ. પણ નિર્ધારિત સમય એટલે જે એક મહિનાનું શટડાઉન પૂરું થાય તરત કારખાના ચાલુ નહિ થાય તો અમારા જેવા અનેક શ્રમિકોની હાલત નાજુક બની જશે. - હસનભાઇ ખોખર, શ્રમિક જેના ઉપર વીતી હોય એને ખબર હોય!અમારું 11 વ્યક્તિનું કુટુંબ છે. હું અને મારા મોટા ભાઈ એમ બે જ વ્યક્તિ કમાનાર છે. એમાં મારુ કારખાનું 4 માર્ચથી બંધ થઈ ગયું છે. એટલે રોજ 12 કલાક મજૂરી કરું અને રજા કપાત થઈને મહિને જે સરેરાશ 18 હજારની આવક થતી હતી એ બંધ થઈ ગઈ છે. હવે આખા ઘરનો બોજો એકલા મારા ભાઈ ઉપર આવી પડ્યો છે. 12 કે 15 હજારની આવકમાં બાળકોને ભણાવવા, પિતાની દવાની ખર્ચ તેમજ ઘરના સભ્યોનું પેટ ભરવું કઠિન છે.- પપ્પુભાઇ વાઘેલા, શ્રમિક ...તો દેવું કરવાની નોબત આવશે કારખાનું બાર દીવસથી બંધ છે. ઘરમાં ચાર સભ્યમાં કમાનાર હું એક જ છું. રોજ 12 કલાકની મજૂરી કરું ત્યારે 12 હજાર જ પગાર મળે છે. આટલા પગારમાં ઘરના બે છેડા માંડ ભેગા થતા હોય ત્યાં હવે આ કારખાના બંધ થયા અને લાંબો સમય બંધ રહે તો ઘરના સભ્યોનું પેટ ભરવા ઉધાર ઉછીના લઈ દેવું પણ કરવું પડે એવી હાલત છે.- દિલીપભાઈ વાણિયા
લુખ્ખા તત્વોને નિરંકુશ થયા:બાઈક સરખું પાર્ક કરવાનું કહેનારા નિવૃત પોલીસ કર્મીને ફડાકાવાળી
મોરબી શહેરમા જાણે લુખ્ખાગીરી કરતા તત્વોને કાયદો વ્યવસ્થા કે પોલીસ તંત્રની કોઈ બીક ન હોય તેમ લાગી રહ્યું છે. છાશવારે છરી લઈને નીકળી પડતા આ લવર મુછીયા જેવા તત્વો પોતાની જાતને ડોન સાબિત કરવા સામાન્ય માણસને છરી દેખાડી ધમકાવવા જાહેરમાં ગાળો બોલી કે પોતાની ધાક જમાવવા એન કેન પ્રકારના વિડીયો બનાવી સોશ્યલ મીડિયામાં મૂકતા હોય છે. મોરબીમાં તંત્ર ભલે સબ સલામતના દાવા કરે પણ આવા શેરી ગલીએથી નીકળી પડતા લુખ્ખા તત્વોને અંકુશમાં લેવામાં પોલીસ નબળું સાબિત થયું હોવાની પ્રતિતિ થયા વિના રહેતી નથી. મોરબી શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલી શ્રીમદ સોસાયટી વિસ્તારમાં રહેતા નિવૃત પોલીસ કર્મી મયુરસિંહ મહોબતસિંહ જાડેજા બે દિવસ પહેલા જૂની દાણા પીઠ પાસે તેઓને નદીમ ઉર્ફે બુધીયો વડગામા નામના શખ્સ સાથે બાઈક સીધું રાખવા જણાવ્યું હતું જે બાદ આ નદીમે નિવૃત પોલીસ કર્મી સાથે ઝઘડો કર્યો હતો અને તેઓને ફડાકા ઝીંકી દીધા હતા તેમજ છરીના ઘા ઝીંકી દેવાની ઘમકી આપી હતી. લોકોની અવરજવર વાળી આ જગ્યા પર મામલો ગરમ થઇ ગયો હતો. જો કે બાદમાં આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. બનાવ અંગે મયુરસિંહે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
જુગારધામ પર દરોડો:મહેન્દ્રનગરમાં મકાનમાં ચાલતું હતું જુગારધામ, પાંચની અટકાયત કરાઇ
મોરબી એલસીબી અને પેરોલ સ્ક્વોડની સંયુક્ત ટીમે ખાનગી બાતમીના આધારે મહેન્દ્રનગર વિસ્તારમાં ચાલી રહેલા જુગારના અખાડા પર સફળ દરોડો પાડી પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસને મળેલી માહિતી મુજબ રાજેશભાઈ જીવરાજભાઈ સરડવા (રહે. સિદ્ધિવિનાયક સોસાયટી, ગજાનન એપાર્ટમેન્ટ, મહેન્દ્રનગર – મૂળ સરવડ, તા. માળિયા મીં.) પોતાના રહેણાંક મકાનમાં બહારથી લોકો બોલાવી ગેરકાયદેસર રીતે ગંજીપતા વડે પૈસાની હાર-જીતનો ‘તીન પત્તી’ જુગાર રમાડતા હોવાનું જાણવા મળ્યું હતું. આ બાતમીના આધારે એલસીબી તથા પેરોલ સ્કોડની ટીમે પંચ સાક્ષીઓ સાથે સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન રાજેશભાઈ સરડવા સહિત કુલ પાંચ વ્યક્તિઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા અન્ય આરોપીઓમાં વિવેકભાઈ વિનોદભાઈ ગોસાઈ , ભાવેશભાઈ બાલુભાઈ સીતાપરા , જયેશભાઈ રાઘવજીભાઈ બોપલિયા તથા સાગરભાઈ રમેશભાઈ સરડવાનો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી રૂ. 2,62,500 રોકડ રકમ તેમજ ચાર મોબાઇલ ફોન મળીને કુલ રૂ. 2,87,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તમામ પાંચ આરોપીઓ વિરુદ્ધ મોરબી સિટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જ્વલંત સિદ્ધિ:મોરબીના સંસ્કૃત શિક્ષક ગીતાભૂષણ, શતસુભાષિતપંડિત ઉપાધિથી સન્માનિત
સંસ્કૃત ભાષા તમામ ભાષાઓની જનની ગણાય છે અને આજે એક ખાસ વર્ગ એવો તૈયાર થઇ રહ્યો છે કે જેઓ આ ભાષાને વધુને વધુ લોકભોગ્ય બની રહે તે માટે સતત પ્રયત્નશીલ છે ત્યારે આ ભાષા સાથે જોડાયેલા અને શિખવવા માટે સતત પ્રયત્નશીલ એવા મોરબીના શિક્ષકને ગીતાભૂષણ અને શતસુભાષિતપંડિતની ઉપાધિ એનાયત કરવામાં આવી છે. નોંધનીય છે કે સમગ્ર રાજ્યમાં એવા પાંચ વ્યક્તિમાં આ શિક્ષકનો સમાવેશ થયો છે કે જેમને આ બન્ને ઉપાધિ મળી હોય. સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા યોજાયેલી રાજ્યકક્ષાની સ્પર્ધામાં ધી.વી.સી. ટેકનિકલ હાઇસ્કુલ, મોરબીના સંસ્કૃત શિક્ષક ધવલભાઈ ખાંડેકાએ ઉત્તમ સિદ્ધિ મેળવી છે. તેમણે પૂર્ણ ભગવદ ગીતા (700 શ્લોક) કંઠસ્થ કરવા બદલ ‘गीताभूषणः’ અને 100 સુભાષિતો યાદ કરવા બદલ ‘शतसुभाषितपण्डितः’ બંને ઉપાધિ પ્રાપ્ત કરી છે.ગાંધીનગર ખાતે શિક્ષણમંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજાના હસ્તે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યમાંથી માત્ર પાંચ વ્યક્તિઓને જ બંને એવોર્ડ મળ્યા છે, જેમાં ધવલભાઈનો સમાવેશ થાય છે, તેમના માર્ગદર્શન હેઠળ ભટ્ટ જીગર સંજયભાઈ, ચૌહાણ ચંદન વનરાજસિંહ નામના બે વિદ્યાર્થીઓનું સન્માન થયું હતું. ઉપરાંત, ‘संस्कृतकक्षः’ યોજના હેઠળ શાળાની પણ પસંદગી થઈ છે અને શાળાને રૂ. 50 હજારનું અનુદાન મળનાર છે.
કોરોના મહામારી બાદ ગ્રામ્ય સ્તરે પણ આરોગ્ય સેવા વધુ સારી અને સુદ્રઢ બનાવવા સરકાર દ્વારા ઝડપથી સુધારો લાવવામાં આવ્યો છે અને તેના પરિણામે જિલ્લા કે તાલુકા સ્તર આરોગ્ય કેન્દ્રના કેન્દ્રની સાથે ગ્રામ્ય વિસ્તારના પીએચસી અને સબ સેન્ટર જે હાલ આયુષ્યમાન આરોગ્ય મંદિર તરીકે ઓળખવામાં આવે છે તેવા નાના કેન્દ્રમાં સુધાર લાવવા પ્રયાસ થઇ રહ્યા છે. મોરબી જિલ્લો હવે માત્ર સિરામિક કે ઘડિયાળ ઉદ્યોગ પૂરતો મર્યાદિત રહ્યો નથી. જાહેર આરોગ્ય ક્ષેત્રે મોરબીએ દેશભરમાં ડંકો વગાડ્યો છે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા લેવામાં આવેલી અત્યંત કડક કસોટીમાં મોરબીના 7 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 47 આયુષ્યમાન આરોગ્ય મંદિર (સબ સેન્ટર) મળી કુલ 54 આરોગ્ય સંસ્થાઓને પ્રતિષ્ઠિત નેશનલ ક્વોલીટી અસ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS) નું રાષ્ટ્રીય પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. ગુણવત્તાની અગ્નિપરીક્ષા : 1364 મુદ્દાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણઆ પ્રમાણપત્ર મેળવવું એ કોઈ સામાન્ય વહીવટી પ્રક્રિયા નથી, પરંતુ ગુણવત્તાની એક આકરી એરણ છે. NHSRC દ્વારા નક્કી કરાયેલા ધોરણો મુજબ, એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) એ 8 મુખ્ય ક્ષેત્રો અને 1364 જેટલા મુદ્દાઓ પર પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવી પડે છે. જેમાં... માત્ર સેવા નહીં, ગુણવત્તાસભર સારવાર બનીમોરબી જેટલા નાના જિલ્લામાં 7 પીએચસી 47 આરોગ્ય કેન્દ્રને આ સિદ્ધિ એ વાતની સાબિતી છે કે મોરબી જિલ્લામાં છેવાડાના માનવી સુધી પહોંચતી સરકારી સેવાઓ હવે માત્ર ''સેવા'' નથી રહી, પરંતુ ''ગુણવત્તાસભર સારવાર'' બની છે. > ડો. પી. કે. શ્રીવાસ્તવ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી
આઇશરમાં લાગી આગ:ચોટીલા હાઈવે પર સામાન ભરેલું આઇશર સળગ્યું, જાનહાનિ નહીં
ચોટીલા રાષ્ટ્રીય ધોરી માર્ગ પસાર થાય છે. ત્યારે મોટી સંખ્યામાં વાહનોની આવજા થતી જોવા મળતી હોય છે. જેમાં શનિવારની મોડી રાતે રાજકોટથી અમદાવાદ તરફ એક આયશર વાહન ટ્રાન્સપોર્ટનો સામન ભરીને જતું હતું. ત્યારે અગમ્ય કારણોસર અચાનક સળગી ઉઠયુ હતુ. આથી ફાયર બિગ્રેડ જવાનો સહિત આણંદપુર પોલીસ સ્થળ પર પહોંચી હતી. ફાયર બિગ્રેડ જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. સમય સૂચકતા વાપરતા વાહનચાલકનો આબાદ બચાવ થયો હતો. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 47 પર આવેલા ચોટીલાથી બોરિયાનેશ હાઈવે પર શનિવારની રાત્રે રાજકોટથી અમદાવાદ તરફ જતું ટ્રાન્સપોર્ટનો સામન ભરેલ આયશર અગમ્ય કારણોસર સળગી ઉઠવાનો બનાવ બન્યો હતો. બોરિયાનેશ ગામના લોકોએ ચોટીલા નગર પાલિકા ફાયર બિગ્રેડને જાણ કરી હતી. આથી ફાયર ફાઇટર મનસુખભાઇ પરમાર, હરેશ ઉપાધ્યાય સહિતની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો બોલાવીને એકાદ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. વાહનચાલકે સમય સૂચકતા વાપરતા કોઈ જાનહાનિ થઇ ન હતી. બીજી તરફ વાહનચાલક સ્થળ પરથી નાસી છૂટયો હતો. ત્યારે ક્લિનર હાજર મળી આવતા પોલીસે જણાવા જોગ અરજી દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.
ગામ ગામની વાત:રતનપર ગામની વિકાસની હરણફાળ, જિલ્લાનું રતન બનશે
વઢવાણ તાલુકાના રતનપર ગામનો ચોતરફ વિકાસ થતા રતનપર સંયુક્ત પાલિકામાં સમાવેશ થયો છે. જિલ્લાની સરકારી કચેરીઓ બહુમાળી ભવન, સર્કિટ હાઉસ રતનપરમાં આવેલા છે. જ્યારે બાયપાસ રતનપરનો વિકાસ કુદકેને ભુસકે વધી રહ્યો છે. ત્યારે રતનપર ગામ સંપૂર્ણ શહેરીકરણ થયું છે. રતનપરને બનાવવામાં વઢવાણ સ્ટેટના રતનસિંહજી અને રાયસિંહજીનો મોટો ફાળો છે. વઢવાણ તાલુકાના દુધરેજ અને રતનપર જોરાવરનગર જેવા જોડીયા ગામોનો વિકાસ હરણફાળ ભરી રહ્યો છે. રતનપર ગામની સીમ ખેરાળી, માળોદ, વાઘેલાના સીમાડે પહોંચી છે. રતનપર ગામમાં તલાટી અને સર્કલ ઓફિસ આજે પણ મૌજુદ છે. રતનપરમાં કોળી, પટેલ, જૈન, બ્રાહ્મણ, મુસ્લિમ, રાજપૂત એમ પચરંગી પ્રજા વસવાટ કરે છે. રતનપર ગામમાં રામજી મંદિર, ગુરૂદતાત્રય મંદિર, રામાપીરનું મંદિર પ્રાચીન છે. જ્યારે બે સ્વામિનારાયણ મંદિર પણ બન્યા છે. રતનપરમાં સરકારી 3 પ્રાથમિક શાળા આવેલી છે. જોરાવરનગર કરતા રતનપર વિકાસ વધુ થાય તેવી શક્યતાઓ સાચી પડે તેમ છે. રતનપરના ખેડૂતોની જમીન સોનાની લગડી સમાન બની ગઇ છે. જ્યારે ઘોળીધજા ડેમ અને નર્મદા કેનાલને લીધે કૃષિક્રાંતિ પણ સર્જાઇ છે. રતનપર અને જોરાવનગરમાં ક્રિકેટ ફીવર વધુ જોવા મળે છે. બાલ હસ્તાપરી, ઉપાશ્રય, મંદિર, મસ્જીદો આસ્થાનું કેન્દ્ર છે. જ્યારે મોરબીનો પુલ ભોગાવો નદી પર બનતા રતનપરને ફાયદો થયો હતો. રતનપર મૂળી રોડ પર ત્રિમંદિર, પ્રજ્ઞાચક્ષુ સંસ્થા, કોટન હબના કારખાનાઓ, લોકશાળા વગેરેને કારણે ધમધમી રહ્યો છે. રતનપરમાં આજે પણ સ્ટેટ તલાટીની ઓફિસ આવેલી છે સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાના વિસ્તારમાં આવેલા રતનપર ગામ શહેરી વિસ્તાર ગણાય છે. પરંતુ રતનપર ગામની સીમ જમીન ખૂબ વિશાળ હોવાથી અહીં આજે પણ સ્ટેટ તલાટીની ઓફિસ ધમધમી રહી છે. જેમાં તલાટી અને સર્કલ ઓફિસર ખેડૂતોની જમીનને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. રતનપર ગામની સીમ જમીન જોરાવરનગર, સુરેન્દ્રનગર સુધી હોવાથી સોનાની લગડી સમાન બની ગઇ છે. સંયુક્ત પાલિકામાં વોર્ડ નં.9માં રતનપરને સ્થાન સુરેન્દ્રનગર પાલિકા બન્યા બાદ વઢવાણ અને જોરાવરનગર બન્ને ગામોને તેમાં સમાવેશ કરી જોડીયા શહેર બની સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકામાં સમાવેશ થયો હતો. સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકા અને વઢવાણ પાલિકા ભેગી કરી વિસ્તાર કરવામાં આવ્યો હતો. ત્યારે હાલ સંયુક્ત નગર પાલિકા બનતા રતનપર ગામ વિસ્તારને સંયુક્ત પાલિકાના વોર્ડનં.9માં સ્થાન પ્રાપ્ત થયું છે.
સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં સમૂહ લગ્નનો સેવા યજ્ઞ ચલાવાઈ રહ્યો છે. જેમાં 23 વર્ષથી ચાલતા આ સમૂહ લગ્નોત્સવ થકી 1138થી વધુ જરૂરીયાતમંદ હિન્દુ અને મુસલમાન પરિવારોની દીકરીઓને લગ્ન કરાવી આપવામાં આવ્યા છે. આ સમૂહ લગ્નોત્સવની શરૂઆત 2 હિન્દુ મુસ્લિમ મજૂર મિત્રના વિચારથી શરૂ થઇ હતી. જે હાલ સેવાનું વટવૃક્ષ બની ગઇ છે. રવિવારે 30 દંપતીના સમૂહ લગ્ન યોજાતા 5 હજાર લોકો એકત્ર કર્યા હતા. સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં કાળી મજૂરી કરીને પેટીયુ રળતા શ્રમીકોની દીકરીના લગ્નની ચિંતા માતા પિતાને કોરી ખાય છે. ત્યારે હિંન્દુ અને મુસ્લિમના નાત જાતના વાડાને ભૂલીને રહેતા 2 શ્રમીક મિત્ર અને તોપવાળા મેલડી માના સમસ્ત સેવા ગણના મિત્રોએ આવી દીકરીઓના લગ્ન કરાવવા વિચાર વાવ્યો હતો. 23 વર્ષ પહેલા 11 દંપતી સાથે પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નના આયોજનનો વિચાર કરનાર મિત્રોને સમૂહ લગ્નના ખર્ચની ચિંતા હતી. માર્કેટના વેપારીઓ આગળ આવ્યા અને સમૂહ લગ્નનો ખર્ચ ઉપાડવાની તૈયારી બતાવી હતી. ત્યારથી સમૂહ લગ્નનો તમામ ખર્ચ માર્કેટના મજૂરો અને વેપારીઓ આપે છે. અત્યારસુધીના સમૂહ લગ્નમાં રૂ.20 કરોડનું કરીયાવર અને 35 લાખ જમણવારનો ખર્ચ દાતાની મદદથી થયો. તા.23 માર્ચે હિન્દુ મુસ્લિમના એક સાથે 22મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાતા આર્યસમાજ સહયોગથી 36 દીકરીના લગ્ન કરાવાયા હતા. તોપવાળા મેલડીમાં મંદિર પાસે લગ્ન અને હજરત બાલમશા પીરની દરગાહ પાસે નિકાહ પઠાવાયા હતા. આયોજન સફળ બનાવવા જેઠાભાઇ ધલવાળીયા, ઇબ્રાહીમભાઇ મકરાણી, હનીફાબેન મકરાણી, રમેશભાઇ ઉપાધ્યાય, અબ્દેઅલીભાઇ સહિત સમસ્ત તોપવાળા મેલડીમાં સેવકગણ પ્રયાસ કર્યા હતા. એક બાજુ વૈદિક મંત્રોચ્ચાર સાથે લગ્ન તો બીજીબાજુ નિકાહના કલમા પઢાય છેઆ સમૂહ લગ્નમાં હિન્દુ દંપતીના લગ્ન માટે આર્ય સમાજ દ્વારા સેવા આપી વૈદિક મંત્રોચ્ચાર સાથે લગ્ન કરાવાય છે. મુસ્લિમ સમાજના દંપતીના નિકાહ માટે સુરેન્દ્રનગર શહેર કાજી સેવા આપે છે. આમ એક બાજુ વૈદિક મંત્રોચ્ચારથી હિન્દુ રિતરિવાજથી લગ્ન જ્યારે તે જ સમયે નિકાહના કલમા પઢાતા હોય છે.
ભાસ્કર એક્સક્લુસિવ:આરોગ્ય કેન્દ્રો ‘વેન્ટિલેટર’ ઉપર , મહિને 25 ઇમરજન્સી કેસ રિફર
ઝાલાવાડનું આરોગ્યતંત્ર વેન્ટિલેટર ઉપર હોય તેમ સામુહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં નિષ્ણાંત, વર્ગ -1ના તબીબોની ભારે અછત છે. જિલ્લામાં મંજૂર થયેલા કુલ 123 જગ્યાના મહેકમ સામે 26 જેટલી મહત્વની જગ્યા ખાલી પડી છે. જેના કારણે ગ્રામીણ સ્તરે આરોગ્ય સેવાઓને અસર થઇ રહી છે.સૌથી ગંભીર સ્થિતિ (પેટા) અધિક્ષક વર્ગ-1 ની જગ્યાઓ પર જોવા મળી રહી છે. જિલ્લામાં આ કેડરની કુલ 11 જગ્યા મંજૂર થયેલી છે, જેમાંથી માત્ર 3 જગ્યા પર જ કાયમી નિમણૂંક છે. તે પણ બોન્ડેડ તબીબો દ્વારા ચલાવાઇ રહી છે. સામુદાયિક આરોગ્ય કેન્દ્રો અહીં નિષ્ણાતોની 6 જગ્યા ખાલી છે. જેમાં ચોટીલા 2, રાજસીતાપુર 2, મૂળી 1 અને લખતર 1 જગ્યા ખાલી. જ્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં 50 મંજૂર, ભરેલી 44 અને ખાલી 6 છે. જેમાં ચુડાના મોજીદડ, જોબાળા, લખતરનું તલસાણા, વઢવાણનું વસ્તડી, થાનનું મોરથળા, અને પાટડીનું ઝીંઝુવાડાનો સમાવેશ થાય છે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.જી.ગોહિલ જણાવ્યું કે, છેલ્લા થોડા વર્ષોમાં બોન્ડેડ આધારિત જગ્યાઓ તબીબોની ભરાઇ રહી છે. જેના કારણે હાલ લોકોને સારવારો મળી રહી છે. આ તમામ જગ્યાઓ ઉચ્ચ કક્ષાએથી ભરાય આવે છે. હાર્ટએટેકના કિસ્સામાં જોખમ ઉભુ થાય જિલ્લામાં અકસ્માતો સહિતના બનાવો બનતા કેસો વધી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં જિલ્લામાં આવેલી સીએચસી, પીએચસીમાંથી દર મહિને અંદાજે 25 જેટલા કેસ રિફર કરેલા આવતા હોય છે. જેમાં અકસ્માત, દવા પી જવી, હૃદયરોગ સહિતના કેસોનો સમાવેશ થાય છે.- ડો. ચૈતન્યકુમાર પરમાર, સીડીએમઓ, ગાંધી હોસ્પિટલ 56 તબીબ બોન્ડ આધારિત ફરજ બજાવી રહ્યાં છે નિષ્ણાત તબીબોની અછત પૂરવા સરકાર દ્વારા બોન્ડેડ તબીબોની નિમણૂંક કરાય છે. જોકે, બોન્ડેડ તબીબોનો કાર્યકાળ મર્યાદિત હોવાથી અને તેઓ અનુભવ મેળવીને અન્યત્ર જતા રહેતા હોવાથી હોસ્પિટલોમાં સ્થિરતા જળવાતી નથી. હાલ બોન્ડેડમાં સીએચસીમાં 16, પીએચસીમાં 24, અધિક્ષક વર્ગ-1માં 3, સ્ત્રીરોગ નિષ્ણાંત વર્ગ-1માં 3, બાળરોગ નિષ્ણાંતમાં 2, ઓર્થોપેડિક સર્જન વર્ગ -1માં 2 તબીબી બોન્ડેડ સાથે ફરજ બજાવી રહ્યા છે. આમ બોન્ડેડમાં 56 તબીબ ફરજ બચાવી રહ્યા છે.
મંડે પોઝિટીવ:માતૃ-પિતૃ પૂજન 167 દેશના વાલી અને લાખો વિદ્યાર્થી સુધી પહોંચ્યું
ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતાનો દરજ્જો ઘણો મોટો છે. હાલના ભૌતિકવાદી યુગમાં યુવાપેઢીને પ્રશ્વિમી સંસ્કૃતિના આંધળા અનૂકરણથી બચાવવા યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા વર્ષ 2007માં સુરેન્દ્રનગર જિલ્લાથી માતૃ-પિતૃ પૂજન અને તુલસીપૂજનના કાર્યક્રમ શરૂ કરાયા હતા. જેની આજે 400 સમિતિ વિશ્વના 167 દેશોમાં સંસ્કૃતિનું સિંચન કરવાનું કામ કરી રહી છે. આ સંસ્થાએ સૌપ્રથમ કાર્યક્રમ લીંબડી નીકકંઠ વિદ્યાલય તેમજ ઓમકાર સ્કૂલ સુરેન્દ્રનગરમાં કર્યો હતો. જેમા 125થી 150 માતા-પિતા અને 400થી વધુ બાળકોએ લાભ લીધો હતો. વર્ષ 2014માં તુલસીપૂજનમાં લીંબડી સરસ્વતી વિદ્યાલયમાં સોપ્રથમ કાર્યક્રમમાં 400થી વધુ લોકોએ લાભ લીધો હતો. ચોટીલા સિવાય 9 તાલુકાઓમાં દર વર્ષે આ કાર્ય કરાય છે. 20 વર્ષમાં અંદાજે 90,000 માતૃ-પિતૃ પૂજનનું કાર્ય થયુ છે. અંદાજે 200 ખાનગી શાળા, કોલેજો, 35 જેટલી સરકારી શાળાઓમાં પણ કાર્ય કરાતા અંદાજે 10,000 વાલી, 20,000 વિદ્યાર્થી જોડાયા હતા. તુલસી પૂજનનો અત્યાર સુધીમાં 1,50 લાખ લોકોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં 7થી 8 લોકો સેવા આપે છે. ફુલહાર, દિવા, આરતી, કોડીયા, સાઉન્ડ સિસ્ટમ સહિતનું નિ:શૂલક આપવામાં આવે છે. યુવાધન સુરક્ષા વિષપ ઉપર પરીક્ષામાત્ર ઉત્સવો જ નહીં યુવાનોના ચારિત્ર્ય ઘડતર માટે શાળાઓમાં ‘‘દિવ્ય પ્રેરણા પ્રકાશ’’ (યુવાધન સુરક્ષા) પુસ્તકનું વિતરણ કરી સતસાહિત્ય દ્વારા વિદ્યાર્થીઓને સંયમનું મહત્વ સમજાવાય છે. સમિતિ દ્વારા આ વિષય પર પરીક્ષાઓ યોજી ત્રણ પ્રથમ વિદ્યાર્થીઓને ઈનામ અપાય છે. માતા-પિતાનું સેવા નૈતિક મુલ્ય છેશાસ્ત્રોમાં માતા-પિતાનું ઘણુ મહત્વ સમજાવ્યુ છે. માતા પિતાનો આદર કરવો એ માત્ર ધાર્મિક ફરજ નથી. પરંતુ આપણુ નૈતિક મૂલ્ય છે. જે પરિવાર અને સમાજને જોડી રાખે છે. માતા-પિતાનું ઋણ 100 વર્ષ સેવા કરવા છતા ઉતારી શકાતુ નથી. માતા એ પૃથ્વી સમાન છે અને પિતા આકાશ સમાન છે.> હરદીપ ચંદ્રકાંત કુબાવત, સંસ્કૃત શિક્ષક, વઢવાણ શાળા નં. 7. ભાસ્કર ફર્સ્ટ પર્સન
યુદ્ધની માઠી અસર:ઈરાન-ઈઝરાયલ યુદ્ધથી રાજ્યની કૃષિ પર પણ અસર, નિકાસ ઠપ
ઈરાન અને ઈઝરાયલ- અમેરિકા વચ્ચે વધતા સંઘર્ષને કારણે વૈશ્વિક અર્થતંત્ર મંદીનો સામનો કરી રહ્યું છે, ત્યારે તેની સીધી અસર હવે મહારાષ્ટ્રના કૃષિ ક્ષેત્ર પર જોવા મળી રહી છે. આ યુદ્ધની અસર ખાડી દેશોમાંથી કૃષિ ઉત્પાદનોની આયાત અને નિકાસ પર 100 ટકા થશે, અને દેશમાંથી માલની નિકાસ ન થવાને કારણે બજારભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. આ જોતાં રાજ્યના કૃષિ મંત્રી દત્તાત્રેય ભરણેએ ચિંતા વ્યક્ત કરી છે અને સ્પષ્ટતા કરી છે કે ભવિષ્યમાં યુરિયા ખાતરના સ્ટોક અંગે પણ કાળજી લેવી પડશે.ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય વેપારમાં વિક્ષેપ પડ્યો છે. ભારતનાં કૃષિ ઉત્પાદનો આ દેશોમાં મોટા પ્રમાણમાં નિકાસ થાય છે, પરંતુ દેશના કૃષિ ઉત્પાદનોની નિકાસ ન થતી હોવાથી, તેની બજાર કિંમતો પર મોટી અસર પડી રહી છે. સ્થાનિક બજારોમાં કૃષિ ઉત્પાદનોના ભાવ ગગડી ગયા છે. આની સીધી અસર ખેડૂતોની આવક પર પડી રહી છે. નિકાસ બંધ થવાને કારણે બજારમાં માલનું આગમન વધ્યું છે અને ભાવમાં ઘટાડો થયો છે. ઉપરાંત, જો ખાતર ઉત્પાદન માટે જરૂરી કાચા માલનો પુરવઠો પ્રભાવિત થાય છે, તો ભવિષ્યમાં યુરિયાની અછત સર્જાઈ શકે છે, જેના માટે હવે આયોજન કરવું પડશે, એમ મંત્રી ભરણેએ જણાવ્યું. રિપોર્ટ મળતાં જ વળતરની જાહેરાત:રાજ્યમાં ઘણી જગ્યાએ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. સરકારે નુકસાનનું તાત્કાલિક મૂલ્યાંકન કરવાનો આદેશ આપ્યો છે અને ખાતરી આપી છે કે રિપોર્ટ મળતાં જ સહાયની જાહેરાત કરવામાં આવશે, એમ ભરણેએ જણાવ્યું હતું. દરમિયાન, 17 એપ્રિલ પછી તાપમાનમાં નોંધપાત્ર વધારો થશે અને ઓગસ્ટ સુધી વરસાદ ઓછો રહેવાની ધારણા છે. તેથી, તેમણે ખેડૂતોને પાણીનો ખૂબ જ કરકસરથી ઉપયોગ કરવાની પણ અપીલ કરી હતી. કોંકણમાં કાજુની ખેતી સંકટમાં: કોંકણના અર્થતંત્રની કરોડરજ્જુ એવા કાજુ અને કેરીના ખેડૂતો આ વર્ષે હવામાન પરિવર્તનથી બરબાદ થયા છે. કુદરતી આફતોને કારણે કાજુના ઉત્પાદનમાં 60 થી 65 ટકાનો ઘટાડો થયો છે. વધતા તાપમાન અને કમોસમી વરસાદને કારણે ખેડૂતો ગભરાઈ ગયા છે. કોંકણમાં ઉત્પન્ન થતી થોડી આવક હવે કુદરતી આફતો અને જંગલી પ્રાણીઓના હુમલાને કારણે વેડફાઈ રહી છે, જેના કારણે ખેડૂતો બેવડી મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.
હોટેલ સંચાલકોની ગેરરીતિ:હોટેલ દ્વારા એલપીજી સિલિંડરનો ખુલ્લેઆમ વ્યાવસાયિક ઉપયોગ
અમેરિકા- ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ બાદ મુંબઈમાં એલપીજી સિલિંડરનો પુરવઠો ખૂટી પડ્યો છે. આને કારણે ઘરેલુ ઉપભોક્તાઓ સાથે હોટેલ- રેસ્ટોરાં પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ખાસ કરીને ઘરેલુ વપરાશનું સિલિંડર હોટેલોમાં ઉપયોગ કરવાનું મંજૂર નથી. આમ છતાં અમુક હોટેલો અને રેસ્ટોરાં ખુલ્લેઆમ ઘરેલુ એલપીજી સિલિંડરનો ઉપયોગ કરી રહ્યા છે. અમેરિકા- ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ બાદ મુંબઈમાં એલપીજી સિલિંડરનો પુરવઠો ખૂટી પડ્યો છે. આને કારણે ઘરેલુ ઉપભોક્તાઓ સાથે હોટેલ- રેસ્ટોરાં પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ખાસ કરીને ઘરેલુ વપરાશનું સિલિંડર હોટેલોમાં ઉપયોગ કરવાનું મંજૂર નથી. આમ છતાં અમુક હોટેલો અને રેસ્ટોરાં ખુલ્લેઆમ ઘરેલુ એલપીજી સિલિંડરનો ઉપયોગ કરી રહ્યા છે. આવા જ એક કેસમાં ભારત ચેમ્બર ટ્રસ્ટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એક હોટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તે ઘરેલુ એલપીજી સિલિંડરનો વાણિજ્યિક ઉપયોગ કરી રહી છે. આ ફરિયાદ શનિવારે એલટી માર્ગ પોલીસ સ્ટેશનમાં અને રેશનિંગ વિભાગમાં પણ કરવામાં આવી છે. ટ્રસ્ટના કાર્યાલય સચિવ અશોક અગ્રવાલ દ્વારા લખાયેલા એક પત્રમાં જણાવવામાં આવ્યું છે કે કાલબાદેવી રોડ સ્થિત ભારત ચેમ્બર ભવનના ગ્રાઉન્ડ ફ્લોર પર સંચાલિત લક્ષ્મી વિલાસ હોટેલ નિયમોન ઉલ્લંઘન કરી ઘરેલુ ગેસ સિલિંડરનો ઉપયોગ વ્યાવસાયિક કાર્યો માટે કરી રહી છે. ટ્રસ્ટે પોલીસ પાસે માગણી કરી છે કે આ મામલામાં સખત કાર્યવાહી કરવામાં આવવી જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ અન્ય પ્રતિષ્ઠાન આ રીતે અનધિકૃત કામ કરવાની હિંમત નહીં કરી શકે. ઉપરાંત ફરિયાદ સાથે સંબંધિત સિલિંડરોની તસવીરો પણ પોલીસને સોંપવામાં આવી છે. ટ્રસ્ટની ફરિયાદ મળ્યા પછી રેશનિંગ અધિકારી કૃતિકા દેસાઈ એલટી માર્ગ સ્ટેશને પહોંચ્યાં હતાં, જ્યાં ઈપીઆઈ દિનકરે જણાવ્યું કે એફઆઈઆર દાખલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
હવામાન વિભાગની આગાહી:રાજ્યમાં આજથી 4 એપ્રિલ સુધી વરસાદ, કરા અને પવનનો અંદાજ
માર્ચ મહિનામાં મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડ્યો હતો. હવે 30 માર્ચથી ફરી રાજ્યમાં વરસાદ શરૂ થશે એવો અંદાજ હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. સોમવારે મુખ્યત્વે ખાનદેશ, મરાઠવાડા, પશ્ચિમ વિદર્ભ સહિત મધ્ય મહારાષ્ટ્રના ઘાટ પરિસરમાં વીજળી સાથે વરસાદ પડે એવી શક્યતા છે. સવારથી વાતાવરણ વાદળિયુ અને બપોર પછી જોરદાર પવન સાથે વરસાદની શરૂઆત થાય એવી શક્યતા છે એવી માહિતી હવામાન વિભાગે આપી છે. સોમવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં મૂશળધાર વરસાદ સાથે કરા પડવાની શક્યતા છે. એના લીધે ખેડૂતોનું ઘણું નુકસાન થશે એવો ડર છે. પશ્ચિમ વિદર્ભમાં વરસાદની હાજરી નોંધાશે. વિદર્ભના હવામાનમાં પણ મોટો ફેરફાર થાય એવી શક્યતા છે. મંગળવાર 31 માર્ચના સોમવારની સરખામણીએ વરસાદ ઓછો થાય એવી શક્યતા છે. પણ આ જિલ્લાઓમાં વાદળિયુ વાતાવરણ યથાવત રહેશે અને કેટલાક ઠેકાણે વાદળાઓના ગડગડાટ સાથે વરસાદ પડશે. દરમિયાન 1 થી 4 એપ્રિલ સુધી વરસાદ નવેસરથી શરૂ થશે એવો અંદાજ હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. આ સમયમાં મધ્ય મહારાષ્ટ્ર, ખાનદેશ, મરાઠવાડા અને વિદર્ભમાં વાદળિયુ વાતાવરણ રહેશે અને બપોર પછી વરસાદ અને કરા પડવાની શક્યતા છે. ઉનાળામાં શરૂ થયેલા વરસાદના લીધે વાતાવરણમાં ઘણાં ફેરફાર થઈ રહ્યા છે. તકેદારી રાખવીદરમિયાન આ સમયમાં વાદળાના ગડગડાટ અને વીજળી સાથે વરસાદ થતો હોય ત્યારે નાગરિકોએ અને ખેડૂતોએ પોતાનું તેમ જ પાળેલા જાનવરોની સુરક્ષિતતા સુનિશ્ચિત કરવી એવી હાકલ કરવામાં આવી છે. આ દરમિયાન ઝાડ, પતરાના શેડ નીચે અથવા વીજના થાંભલા નજીક અથવા વીજ લાઈન નજીક ઊભા રહેવું જોખમકારક સાબિત થઈ શકે છે.
અશોક ખરાત કેસમાં નવો ખુલાસો:ઢોંગી બાબા ખરાત મહિલા સાથે જાતીય શોષણ પૂર્વે ઘેનની દવા પિવડાવતો હતો
દુષ્કર્મ કેસમાં ધરપકડ કરાયેલા સેલિબ્રિટી ઢોંગી બાબા અશોક ખરાતને રવિવારે નાશિકની કોર્ટમાં હાજર કરાતાં પોલીસ કસ્ટડી 1લી એપ્રિલ સુધી વધારવામાં આવી હતી. નાશિક જિલ્લામાં મિરગાવ ખાતે મંદિર ટ્રસ્ટનો પ્રમુખ અને વર્ષોથી મહારાષ્ટ્રના સેંકડો રાજકારણીઓ જેની મુલાકાત લેતા હતા એવા ખરાત પર એક મહિલાએ સતત ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ કરતાં 18 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. ખરાત વિરુદ્ધ નાશિકના સરકારવાડા પોલીસ સ્ટેશનમાં હમણાં સુધી દસ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જેમાં આઠ જાતીય હુમલાને અને બે છેતરપિંડીની ફરિયાદ કરાઈ છે. વિશેષ તપાસ ટીમ (એસઆઈટી) દ્વારા આ પ્રકરણમાં તપાસ કરવામાં આવી રહી છે, જેની પાસે 100થી વધુ ફરિયાદો આવી છે. છેલ્લા થોડા દિવસોમાં મોટે ભાગે મહિલાઓ પાસેથી ફોન પર ફરિયાદો મળી છે, એમ પોલીસે જણાવ્યું હતું. રવિવારે ખરાતની કસ્ટડી પૂરી થતાં કોર્ટમાં હાજર કર્યો હતો. કોર્ટે ખરાતને પૂછ્યું કે તેને કોઈ ફરિયાદ છે ત્યારે ખરાતે કોઈ ફરિયાદ નથી એમ જણાવ્યું. સુનાવણી દરમિયાન સરકારી વકીલ શૈલેંદ્ર બાગડેએ જણાવ્યું કે આ કેસની તપાસ હજુ ચાલુ છે અને આરોપી સહકાર આપતો નથી. આરોપીની મિલકતો અંગે હજુ તપાસ ચાલી રહી છે. ઘણી બધી મહિલાઓ હજુ પણ ફરિયાદ કરવા આવી રહી છે. ખરાત મહિલાઓનું જાતીય શોષણ કરતો હતો તે પૂર્વે તેમને ઘેનમાં ચઢાવવા તેમને આપતો તે જળ અથવા પ્રવાહી વિશે તપાસ હજુ બાકી છે, એમ તેમણે જણાવ્યું હતું. આરોપીનો મોબાઈલ ફોન ડેટા સ્કેન કરાયો છે અને ક્લોન રિપોર્ટ પ્રાપ્ત થયો છે. તેણે ખાસ કરીને રાજકીય નેતાઓના તેના સંપર્કોનાં નામ ડમી ઓળખ સાથે સેવ કર્યા છે કે કેમ તેની તપાસ કરવાની બાકી છે. ઉપરાંત ઘણા બધા ડિજિટલ પુરાવાઓની તપાસ બાકી છે, એમ સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું. અત્યંત ગંભીર અને અસામાજિક મામલોઆ આરોપો અને ગુનો અત્યંત ગંભીર અને અસામાજિક છે. તે પરિવારોનો વિનાશ નોતરી શકે અને સમાજને અસર કરી શકે છે. આથી આરોપોની નાજુકતા જોતાં પોલીસ કસ્ટડી વધારી આપવાનો વિચાર કરવો જોઈએ, એમ કાળેએ દલીલમાં જણાવ્યું હતું. બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (14મા) એમ વી ભારાડેએ ખરાતની કસ્ટડી 1લી એપ્રિલ સુધી વધારી આપી હતી.
ઢોંગી બાબા અશોક ખરાતની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)એ રાજ્ય મહિલા પંચનાં ભૂતપૂર્વ અધ્યક્ષા રૂપાલી ચાકણકરને સમન્સ પાઠવ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રૂપાલી ચાકણકરને પૂછપરછ અને ત્યાર બાદ ધરપકડનો ભય છે. શાસક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા રૂપાલી ઠોંબરે પાટીલે આ શક્યતાનો સંકેત આપ્યો છે. ખરાત સાથેના કથિત સંબંધોને કારણે ચાકણકરને રાજ્ય મહિલા પંચના અધ્યક્ષપદેથી અને પછી રાષ્ટ્રવાદી મહિલા પ્રદેશ અધ્યક્ષપદેથી રાજીનામું આપવું પડ્યું છે. શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે પાર્ટીના ઉપનેતા સુષ્મા અંધારે અને ઠોંબરે પાટીલે આ મામલે નાશિક પોલીસ અધિકારીઓને મળીને ચાકણકર સામે કેસ નોંધવાની અને તેમને સહ-આરોપી બનાવવાની માગણી કરી હતી. આનાથી પોલીસ પર, ખાસ કરીને કેસની તપાસ કરી રહેલી વિશેષ તપાસ ટીમ પર દબાણ વધ્યું છે. ચાકણકરને શિવનિકા સંસ્થાન, મિરગાંવના ખરાતના અધ્યક્ષપદ હેઠળના ટ્રસ્ટના સભ્ય હોવાને નાતે ચાકણકરને સમન્સ જારી કરવામાં આવ્યા છે. આ કેસમાં આ ટ્રસ્ટના તમામ વર્તમાન અને ભૂતપૂર્વ સભ્યોની પણ પૂછપરછ કરવામાં આવશે.ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યના મહેસૂલ મંત્રી ચંદ્રશેખર બાવનકુલેએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે સમન્સ જારી કરવામાં આવ્યા હતા અને આકાશ પડ્યું નથી. તે તપાસનો એક ભાગ છે. બીજી તરફ, ઠોંબરે પાટીલે દાવો કર્યો છે કે રૂપાલી ચાકણકર આ કેસમાં સહ-આરોપી છે. આ કેસમાં તેમના સીધા હિતને કારણે, તેમણે પોલીસ પર દબાણ કર્યું. ખરાત સાથે તેમના ઘણા ફોટો છે. આ કારણે, મહિલાઓ વિશ્વાસ સાથે ત્યાં જતી હતી. શું એવું શક્ય નથી કે આ ઢોંગી બાબાએ આ રેકેટ ચલાવવા માટે ચાકણકર સાથે કાવતરું ઘડ્યું હોય? એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે.
સિટી એન્કર:ધારાવી XI એ છેલ્લા બોલે સિક્સર ફટકારી DPL સીઝન 3 ટાઇટલ જીત્યું
ધારાવી પ્રીમિયર લીગ (DPL) ની ત્રીજી આવૃત્તિ આ સપ્તાહના અંતે શાનદાર રીતે સમાપ્ત થઈ હતી, છેલ્લા બોલ પર છગ્ગો ફટકારવાની સાથે ધારાવી XI એ નાટકીય વિજય મેળવ્યો હતો અને ધારાવીના ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ક્લબ ખાતે બે દિવસનું જોશીલું ક્રિકેટ, ખીચોખીચ ભરેલા સ્ટેન્ડ અને જીવંત સમુદાયની ભાગીદારીની ધૂમધડાકાભેર પૂર્ણાહુતિ થઈ. આ ટુર્નામેન્ટમાં 14 ટીમો અને 210 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં ધારાવીમાંથી ઉત્સાહી ભીડ ઉમટી પડી. શરૂઆતથી અંત સુધી, લીગ તીવ્ર સ્પર્ધા, મજબૂત પડોશી ગૌરવ અને સ્થાનિક રહેવાસીઓના અતૂટ સમર્થનથી ચિહ્નિત થયેલ હતી જેઓ મોટી સંખ્યામાં સ્થળ પર ઉમટી પડ્યા હતા. રોમાંચક ફાઇનલમાં, ધારાવી ઇલેવનએ ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો અને શિસ્તબદ્ધ બોલિંગ પ્રદર્શન કરીને SSD સ્પોર્ટ્સ ટીમ ને 44/5 સુધી મર્યાદિત કરી દીધી હતી. ત્યારબાદ ભારે તણાવનો સામનો કરવો પડ્યો જે છેલ્લા બોલ સુધી ચાલ્યો. અંતિમ બોલ પર સાત રનની જરૂર હતી ત્યારે, મેચ નાટકીય રીતે બદલાઈ ગઈ કારણ કે વાઇડ ડિલિવરી પછી એક જબરદસ્ત સિક્સર ફટકારવામાં આવી હતી, જેનાથી ધારાવી ઇલેવને યાદગાર જીત મેળવી અને દર્શકો ઉત્સાહિત થઈ ગયા હતા. કિલર બોયઝ ટીમનો વસીમ ખાન ટુર્નામેન્ટનો શ્રેષ્ઠ પ્રદર્શનકાર બન્યો, તેણે તેના અસાધારણ ઓલરાઉન્ડ પ્રદર્શન માટે શ્રેષ્ઠ બેટર, શ્રેષ્ઠ બોલર અને મેન ઓફ ધ સિરીઝ એવોર્ડ મેળવ્યા.મેદાન પરની રમત ઉપરાંત, લીગ અર્થપૂર્ણ સમુદાય જોડાણ માટે એક પ્લેટફોર્મ તરીકે પણ કામ કરતી હતી. ધારાવી સોશિયલ મિશન વિશેની માહિતી, જેમાં કૌશલ્ય કાર્યક્રમો અને આગામી રોજગાર મેળાઓનો સમાવેશ થાય છે, ખેલાડીઓ અને ઉપસ્થિતો સાથે શેર કરવામાં આવી હતી, જે યુવા સશક્તિકરણ અને તક સર્જન પ્રત્યેની મોટી પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. સમાપન સમારોહમાં બોલતા, સ્થાનિક સમુદાયના નેતા શ્રીમતી મંદા ભાવેએ કહ્યું હતું કે, ધારાવીના યુવાનો ઘણીવાર સાંકડી ગલીઓમાં રમે છે, પરંતુ આ સ્તરની ટુર્નામેન્ટનું આયોજન ખરેખર નોંધપાત્ર છે. તે તેમને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ આપે છે અને સમગ્ર સમુદાયને ગર્વથી ભરી દે છે. નવભારત મેગા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ (NMDPL) દ્વારા આયોજિત, ધારાવી પ્રીમિયર લીગ એક મુખ્ય પહેલ તરીકે વિકસિત થઈ રહી છે જે રમતગમતને સામાજિક પ્રભાવ સાથે જોડે છે. કંપનીએ રમતગમત, આરોગ્ય પહેલ અને સમુદાય આઉટરીચ કાર્યક્રમો દ્વારા યુવાનોના જોડાણને સતત ટેકો આપ્યો છે. વિજેતા ટીમ, ધારાવી XI ને ટ્રોફી સાથે ₹1 લાખનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું, જ્યારે રનર-અપ, SSD સ્પોર્ટ્સને ₹50,000 અને ટ્રોફી આપવામાં આવી હતી. ટુર્નામેન્ટ દરમિયાન અનેક 'મેન ઓફ ધ મેચ' એવોર્ડ દ્વારા વ્યક્તિગત શ્રેષ્ઠતાને પણ માન્યતા આપવામાં આવી હતી. ધારાવીના યુવાનોની સફળતાની સ્ટોરીNMDPL ના સતત પ્રયાસોનો ઉદ્દેશ્ય એક એવું પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે જ્યાં ધારાવીના યુવાનો પોતાની સફળતાની સ્ટોરી બનાવી શકે. આવું જ એક પ્રેરણાદાયી ઉદાહરણ સિમરન શેખ છે, જે સમુદાયમાંથી ઉભરી આવીને વુમન્સ પ્રીમિયર લીગમાં ગુજરાત જાયન્ટ્સનું પ્રતિનિધિત્વ કરી રહી છે, તેણે અસંખ્ય યુવા ખેલાડીઓને પ્રેરણા આપી છે. જેમ જેમ બીજી સફળ સીઝનનો અંત આવે છે, ધારાવી પ્રીમિયર લીગે ફરી એકવાર સમુદાયોને એકસાથે લાવવા અને પ્રતિભાને ચમકવા માટે માર્ગો બનાવવામાં રમતગમતની શક્તિને મજબૂત બનાવી.
સેક્ટર-30ના સર્કલ પાસે હિટ એન્ડ રન:પૂરઝડપે આવતાવાહને કારનો કચ્ચરઘાણ વાળ્યો
મોડી રાત્રે ગાંધીનગરના સેક્ટર 30 સર્કલ પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક અજાણ્યા વાહને પૂરઝડપે આવીને કારને એવી જોરદાર ટક્કર મારી કે કારમાં બેઠેલા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો કૂચડો બોલી ગયો હતો અને તેમાં સવાર બે વ્યક્તિઓ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. હાલમાં બંને ઈજાગ્રસ્તો ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અકસ્માત જ્યારે કાર ચાલક સેક્ટર 30 થી ચિલોડા તરફ જઈ રહ્યો હતો ત્યારે થયો હતો. કારચાલકને પાછળથી કોઈ અજાણ્યા વાહને તેને જોરદાર ટક્કર મારી દીધી. નવાઈની વાત તો એ છે કે, અકસ્માત કર્યા પછી મદદ કરવાને બદલે પેલો અજાણ્યો ચાલક પોતાની ગાડી લઈને અંધારામાં ગાયબ થઈ ગયો. આસપાસથી પસાર થતા લોકોએ તરત જ દોડી આવીને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે રસ્તા પરથી ગાડી હટાવીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. હવે પોલીસ હાઈવે પર લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરી રહી છે જેથી પેલી ભાગી ગયેલી ગાડીનો નંબર મળી શકે.
ભાસ્કર એક્સક્લુસિવ:પાટણ બસપોર્ટમાં GPS સિસ્ટમથી 823 ટ્રીપનું ટાઈમ લોકેશન ઉપલબ્ધ
પાટણ બસપોર્ટના પાયાની નવી સુવિધાઓ સાથે GPS સુવિધાનો લાભ મુસાફરોને મળશે.હવે મુસાફરો 18 LED ઉપર અને GSRTC સાઇડ ઉપર પોતાની આંગળીના ટેરવે બસનું ચોક્કસ લોકેશન જાણી શકશે.ખાસ કરીને નોકરીયાત વર્ગ અને વિદ્યાર્થીઓ માટે આ સુવિધા ફાયદા રૂપ સાબિત થશે. પાટણ આઇકોનિક બસપોર્ટ ઉપર એસ.ટી. વિભાગ દ્વારા 18 LED ડિસ્પ્લે બોર્ડ લગાવીને પ્લેટફોર્મ નંબર સાથે બસના લાઈવ લોકેશન ફ્લેશ કામગીરી ચાલી રહી છે આગામી બે ત્રણ દિવસમાં હંગામી ડેપોનું લોકેશન ચેન્જ કરી પાટણ બસપોર્ટનું લોકેશન નાખવામાં આવી રહ્યું છે. જેની કામગીરી પૂર્ણ થયા બાદ 823 ટ્રિપનું સંપૂર્ણ GPS સિસ્ટમ GSRTC LIVE એપ્લિકેશન દ્વારા પણ બસ ના લોકેશન ની માહિતી મેળવી શકાય છે. તેવું ડેપો મેનેજર વિપુલ રાવળે જણાવ્યું હતું. પાટણ-અમદાવાદ રૂટના નિયમિત મુસાફર સુરેશભાઈ પટેલે જણાવ્યું હતુ કે હવે અમારે અંદાજે બસ સ્ટેન્ડ પર જવું પડતું નથી. મોબાઈલમાં જોઈ લઈએ છીએ કે બસ મહેસાણાથી નીકળી ગઈ છે કે નહીં, એટલે બિનજરૂરી રાહ જોવી પડતી નથી.માત્ર મુસાફરો જ નહીં, જો ડ્રાઈવર નિર્ધારિત રૂટ સિવાય અન્ય રસ્તે બસ લઈ જાય અથવા બિનજરૂરી સ્ટોપેજ કરે, તો કંટ્રોલ રૂમમાં તુરંત એલર્ટ જશે. મુસાફરોને થનારા પાંચ મોટા ફાયદા કેવી રીતે કામ કરશે આ GPS સિસ્ટમ
ભાસ્કર એક્સક્લુસિવ:જીપીસીબીના મતે જે કારખાનુ રેડઝોનમાં છે તેના ફેકટરી લાયસન્સ માટે અરજી !
જીઆઇડીસી-2માં આવેલ સોરઠ તબીબી સંઘ ટ્રસ્ટ સંચાલિત ગિરનાર બાયો મેડિકલ વેસ્ટ નામનુ કારખાનુ કે જે જેમણે તાજેતરમાં જ ફેકટરી લાયસન્સ માટેની અરજી કરી છે. આ કારખાનુ ફક્ત બાયો મેડિકલ વેસ્ટ કરે છે અને તેની માટે જ જે-તે સમયે મંજૂરી મળી હતી. હવે આ કારખાનાના જવાબદારોએ પ્રોડક્સન કરવા માટે અરજી કરી છે. જોકે, આ અરજી ના-મંજૂર થઇ છે. કારખાનાના જવાબદારો એવુ રટણ કરી રહ્યા છે કે, અમારૂ કારખાનુ કોઇ કડક ઉદ્પાદન કરતુ નથી. ફક્ત મેડિકલ વેસ્ટ નિકાલ કરીએ છીએ. તો પછી આવી અરજી કરવાની જરૂર શા માટે પડી તે પણ એક વિષય છે. કમિટી કહે તો જ હું જવાબ આપીશ ગિરનાર બાયો મેડિકલ વેસ્ટ કારખાનાએ ફેકટરી માટે કચેરીમાં અરજી કરી છે તેની મને ખબર નથી. અને જો ક્યાં બાબતે અરજી કરી તે હુ તમને કઇ કહુ નહીં. મને જો કમિટી કહે તો જવાબ આપુ. > દિપક પટેલ, કારખાનાના મેનેજર પ્રમુખને ખબર હોય, મને કોઇ જાણ નથી કારખાના બાબતે કોઇપણ મંજૂરી માટે જે અરજીની વાત કરો છો એ બાબતે મને કંઇપણ ખબર નથી. આ બાબતની કારખાના પ્રમુખ અથવા તો મેનેજરને જ જાણ હશે. > ડો. સંજીવ જાવિયા, કારખાના ટ્રસ્ટ કમિટી સભ્ય પ્રમુખ ડો. પાનસુરીયા સંપર્કવિહોણા જ રહ્યાસોરઠ તબીબી સંઘ ટ્રસ્ટ સંચાલિત ચાલતુ કારખાનુ ગિરનાર બાયો મેડિકલ વેસ્ટના પ્રમુખ ડો. મુકેશ પાનસુરિયાનો અરજી ક્યાં કારણથી આપી છે, અત્યાર સુધી કેમ અરજી કરી નહીં ને હવે કરી સહિતની તમામ બાબતની જાણકારી માટે ભાસ્કરે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ પ્રમુખનો ફોન સતત નો-રિપ્લાય આવ્યો હતો. ઉપરાંત સોરઠ તબીબી સંઘના પ્રમુખને બાયોમેડીકલ વેસ્ટના કારનાખા વિશે કહી પણ પુછવામાં આવે તો તેઓ અનેકવાર કારખાનાની બાબતે ત્યાંના મેનેજર દિપકભાઇને જ વધારે ખબર હોય છે તેવો ઉત્તર આપતા હોય છે. પરંતુ ફેકટરી માટે કરેલી અરજી બાબતે મેનેજરને પુછતા તેને પણ આ બાબતે કંઇ પણ બોલવાનું ટાળ્યુ હતુ. એક ચિમની સામે કલેકટરના આંખમિંચામણા, હવે બીજી બનાવવાનું શરૂગિરનાર ઇકોઝોનમાં ચાલતા કારખાનાનો એક ચીમનીમાંથી ઝેરી ધુમાડો નિકળી રહ્યો છે. તે બાબતે હજુ કોઇ કલેકટર તરફથી નિર્ણય નથી આવ્યો ત્યાં બીજી ચીમની બનવાનું કારખાનામાં શરૂ થયું છે.
મુંબઇ અને દીલ્હીને જોડતાં નવા એકસપ્રેસ હાઇવે પર દહેગામ બાદ હવે પુનગામ પાસે એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ બનાવવામાં આવશે. વડોદરા અને સુરત તરફ જતાં વાહનો પુનગામ પાસેથી એકસપ્રેસ હાઇવેનો ઉપયોગ કરી શકે તે માટે એપ્રોચ રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જે આગામી ચાર મહિનામાં પૂર્ણ કરી દેવાનો અંદાજ છે. પ્રથમ વાસદથી દહેગામ વચ્ચે હાઇવેને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. હવે હાઇવેને કીમ સુધી ખુલ્લો મુકી દેવાયો હોવાથી ઓલપાડવાળા રસ્તાથી સુરત તરફ જતાં વાહનચાલકોનો 30 કીમીનો ફેરાવો અને દોઢ કલાકનો સમય બચી ગયો છે. દહેગામ પાસેથી સુરત તરફ જતાં વાહનો ભરૂચ શહેરમાંથી પસાર થતાં હોવાથી શહેરમાં ટ્રાફિક સમસ્યા વિકટ બની હતી. જેના કારણે અંકલેશ્વરના પુનગામ પાસે એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ આપવામાં આવ્યો હતો પણ તેને બંધ કરી દેવાયો હતો. હવે ફરીથી પુનગામ પાસે સત્તાવાર રીતે એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. આગામી ચાર મહિનામાં આ કામગીરી પુરી કરી દેવામાં આવશે. દર 25 કિમીના બદલે વિશેષ કિસ્સામાં 10 કિમીએ મંજૂરી આપીનેશનલ એકસપ્રેસ હાઇવે પર બે એકઝીટ અને એન્ટ્રી પોઇન્ટ વચ્ચે 25 કિમીનું અંતર હોવું જરૂરી છે. ભરૂચમાં દહેગામ પાસે એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ હોવાથી ત્યાંથી 25 કીમી દૂર સુધી એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટને મંજૂરી મળી શકે તેમ ન હતું. રાજયના પાણી પુરવઠા વિભાગના મંત્રી ઇશ્વરસિંહ પટેલ આ મામલે સરકારમાં રજૂઆત કરી હતી. જેના પગલે નેશનલ હાઇવે ઓથોરીટીએ દહેગામથી માત્ર 10 કિમીના અંતરે આવેલાં પુનગામ પાસે એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટને મંજૂર આપી છે. એશિયાની સૌથી મોટી જીઆઇડીસી એવા અંકલેશ્વર ના ઉદ્યોગો તેમજ પાનોલી ઉદ્યોગો હવે સીધા જ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે થી કનેક્ટ થઇ જશે. અંકલેશ્વર-પાનોલી ઉદ્યોગોનું દહેજ સહીત જીઆઇડીસી માં સીધું જોડાણ થશે. જેને લઇ ઉદ્યોગ તેમજ ટ્રાન્સ્પોટેશન ઉદ્યોગને ફાયદો થશે.
પ્રગતિશીલ ખેડૂતે કર્યા ધનના ઢગલાં:અણખીમાં 5 એકરમાં 15 ગાયોના સહારે રૂ. 7.5 લાખની કમાણી કરી
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના અણખી ગામે રહેતા પ્રગતિશીલ ખેડૂત ધર્મેશગીરી નાગજીગીરી ગોસ્વામીએ છેલ્લા 6 વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવીને ખેતીમાં નવો રાહ ચીંધ્યો છે. રાસાયણિક ખેતી છોડીને 5 એકર જમીનમાં 'પ્રાણશિવ ફાર્મ' દ્વારા તેઓ ધાન્ય, કઠોળ અને તેલીબિયાંનું સફળતાપૂર્વક વાવેતર કરી રહ્યા છે. શૂન્ય બજેટ ખેતીના સિદ્ધાંતો અપનાવી તેઓ આજે એકરદીઠ ₹1.5 લાખ મુજબ વાર્ષિક ₹7.5 લાખની માતબર આવક મેળવી રહ્યા છે. તેમના ફાર્મ પર 15 દેશી ગાયોનું ગોપાલન કરવામાં આવે છે.રાસાયણિક ખાતરને બદલે ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી બનાવેલ જીવામૃત, ઘનજીવામૃત અને બીજામૃતનો ઉપયોગ થાય છે. વિશેષ વાત એ છે કે તેઓ ખેત ઉત્પાદનનું સીધું વેચાણ અને વેલ્યુ એડિશન (મૂલ્યવર્ધન) કરે છે. અન્ય રાજ્યોમાં પણ પોતાના ઉત્પાદનો પહોંચાડી રહ્યા છે.ધર્મેશગીરીની આ સિદ્ધિ બદલ તેમને રાજ્યપાલના હસ્તે 'ફાર્મર એવોર્ડ' સહિત અનેક સન્માન પ્રાપ્ત થયા છે. ઓર્ગેનિક કાર્બન1.35 ટકા થયુંકોઇ પણ જમીનમાં જમીન વિજ્ઞાન અનુસાર ઓર્ગેનિક કાર્બન 0.75 ટકા કરતાં વધારે હોય તો જમીનનું સ્વાસ્થ્ય સારૂં ગણાય તે પહેલા ખેડૂતનું ઓર્ગેનિક કાર્બન 0.33 ટકા હતું. તેમાં ઘણો વધારો થઇ હાલ 1.35 ટકા થયો છે. સાથે સાથે જમીનના પીએચ માં સુધારો થયેલ છે તેમજ ક્ષારોનું પ્રમાણ ઘટ્યું છે. જમીનમાં કોઇપણ પ્રકારના રાસાયણિક ખાતરોના ઉપયોગ થયેલ ન હોવા છતાં અગત્યનાં પોષક તત્વો નાઇટ્રોજન અને ફોસ્ફરસનું પ્રમાણ વધ્યું છે.
બ્રહ્મ સમાજની અનોખી પહેલ:ભરૂચ શહેરમાં બ્રહ્મ સમાજની 24 સાસુ વહુને એક સાથે સન્માનિત કરવામાં આવી
ભરૂચ શહેરમાં બ્રહમ સમાજ તરફથી અનોખી પહેલ કરવામાં આવી છે જેમાં સાસુ અને વહુઓને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. પરિવારમાં પ્રેમનો પ્રસાર કરવાન આશયથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે એક નવતર પ્રયોગરૂપે સ્નેહમિલન, સાસુ-વહુ સન્માન સમારોહ અને સંગીત સંધ્યાનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો હતો. વર્તમાન સમયમાં જ્યારે કૌટુંબિક વિખવાદો વધતા જોવા મળે છે. ત્યારે આ કાર્યક્રમે સમાજમાં સાસુ અને વહુના સંબંધોમાં મા-દીકરી જેવી આત્મીયતાનો પ્રેરણાદાયી સંદેશ પ્રસારિત કર્યો હતો. આ કાર્યક્રમમાં ભરૂચ જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. વિનોદ ઉપાધ્યાય, એડવોકેટ અનિલપંડ્યા, ડૉ. લીના દવે તેમજ ઋષિ દવે હાજર રહ્યા હતા. તેમના હસ્તે 24 જેટલા સાસુ-વહુની જોડીઓને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવી હતી. સમાજને એવો ઉમદા સંદેશ અપાયો હતો કે સાસુ-વહુનો સંબંધ જો પરસ્પર સમજ અને પ્રેમ પર આધારિત હોય તો પરિવાર સ્વર્ગ સમાન બની શકે છે. બ્રહ્મસમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ અને મહામંત્રી રાજુ ભટ્ટના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. .
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મધ્યાહન ભોજન યોજના હેઠળ વર્ષોથી અપાતી પરંપરાગત સુખડીને હવે બંધ કરીને તેના સ્થાને શ્રી અન્ન (મિલેટ) આધારિત પૌષ્ટિક સુખડી આપવામાં આવશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ ‘ફિટ ઇન્ડિયા મુવમેન્ટ’ને વેગ આપવાનો તેમજ વિદ્યાર્થીઓમા બાળપણથી જ સ્વસ્થ જીવનશૈલી વિકસાવવાનો છે. નવી મેનુ રચના મુજબ વિદ્યાર્થીઓને પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ થી સમૃદ્ધ આહાર મળશે, જેનાથી કુપોષણમાં ઘટાડો થવાની સાથે દેશી અનાજને પણ પ્રોત્સાહન મળશે. ભરૂચ જિલ્લામાં અંદાજે 900થી વધુ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાભ મળશે. માત્ર સુખડી માં ફેરફાર નહીં, પરંતુ મુખ્યમંત્રી અલ્પાહાર યોજના હેઠળ પણ સંતુલિત અને પૌષ્ટિક નાસ્તા પર ભાર મૂકવામાં આવ્યો છે. સરકાર દ્વારા વાનગીઓને સ્વાદિષ્ટ બનાવવા માટે રેસીપી બુક અને વીડિયો ક્લિપ પણ પૂરા પાડવામાં આવશે. નવી મેનુ અમલ બાદ એક મહિના પછી તેના પ્રભાવ અને સ્વીકાર અંગે સર્વેક્ષણ પણ કરવામાં આવશે. પોષણ યુક્ત આહાર મળવાથી બાળકોની તંદુરસ્તી પણ જળવાઈ રહેબાળકોને પોષણ યુક્ત નાસ્તો અને પોષણ યુક્ત આહાર મળવાથી બાળકોની તંદુરસ્તી પણ જળવાઈ રહે અને એમની હાજરીમાં પણ વધારો થશે. બાળકો માટે ખૂબ સારી યોજના છે એને બાળકોને જે પોષણ યુક્ત આહાર મળે છે તેને અમે આવકારીએ છીએ. - પ્રદીપ સિંહ રણા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ભરૂચ શાળામાં હવે બાળકોને નવા મેનૂ મુજબ આટલી વસ્તુ આપવામાં આવશેસોમવારે માગ ચાટ જેમાં મગ, ટામેટા, ડુંગળી વગેરેનો ઉપયોગ થશે, મંગળ વારે વેજીટેબલ પૌવા જેમાં સિંગ દાણા, બટાકા, ડુંગળી, ટામેટા, બીટ અને પૌવા નો ઉપયોગ થશે. બુધવારે મિક્સ કઠોળ જેમાં ચણા, મગ, મઠ, ચોળા, ટામેટાં, ડુંગળી નો વપરાશ થશે. ગુરુવારે મિલેટ સુખડી જેમાં શ્રી અન્ન લોટ, સીંગદાણા, ગોળ નો ઉપયોગ થશે. શુક્રવારે વેજીટેબલ ઉપમા અને શનિવારે વેજીટેબલ પૌવા આપવામાં આવશે.
મંડે પોઝિટીવ:સરકારી શાળામાં 3 હજાર પુસ્તકની લાઇબ્રેરી, છાત્રો કરશે સંચાલન
જૂનાગઢ જિલ્લાની પાડોદર પે. સેન્ટર શાળામાં વિદ્યાર્થીઓ પુસ્તક વાંચન તરફ વળે અને મોબાઇલથી દૂર રહે તે હેતુથી આચાર્યએ શાળામાં જૂની લાઇબ્રેરીને ડિજિટલ બનાવી છે. આ નવતર પ્રયોગમાં આખી લાઇબ્રેરીનુ તમામ સંચાલન પણ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યુ છે. ઉપરાંત સોમવાર-મંગળવાર એમ વર્ગના વિદ્યાર્થીઓનો ચોક્કસ સમય નક્કી કરી ફરજીયાત પુસ્તક વાંચન માટેનો પણ નિયમ કર્યો છે. શાળાના આચાર્ય રાજુ મારીયાએ જણાવ્યુ કે, પાડોદર પે. સેન્ટર શાળામાં 'ડિજિટલ પુસ્તકાલય અભિયાન સાથેની એક લાઇબ્રેરી બનાવવામાં આવી છે. આ લાઇબ્રેરીમાં 3000થી વધારે પુસ્તકો રાખવામાં આવ્યા છે. અગાવ જે જૂની લાઇબ્રેરી હતી તેના તમામ પુસ્તકોને એક સોફટવેરમાં સમાવેશ કરીને ડેટ એન્ટ્રી સાથેનુ ડિજિટલ કરાયુ છે. આ લાઇબ્રેરીમાં 3 હજાર પુસ્તકો છે જેનુ તમામ સંચાલન શાળાના છાત્રો કરશે. આ લાઇબ્રેરીમાં પુસ્તકોની આવક-જાવક, સ્ટોક મેન્ટેનન્સ અને નવા પુસ્તકોની એન્ટ્રી હવે રજિસ્ટરને બદલે કમ્પ્યુટર સોફ્ટવેર દ્વારા કરવામાં આવશે. ઉપરાંત ધોરણ 4 થી 8ના દરેક છાત્રએ નક્કી કરેલા વાર મુજબ પુસ્તક લઇ જવાનો નિયમ આચાર્યએ કર્યો છે. આમ, પાડોદર પે. સેન્ટર શાળામાં સામાન્ય લાઇબ્રેરીને ડિજિટલ બનાવી છાત્રોએ સંચાલન સોપાયુ છે જેને કારણે વિદ્યાર્થીઓ ડેટા એન્ટ્રી સહિતનુ નાનપણથી જ શીખશે. ગ્રામજનો, ભૂતપૂર્વ છાત્રો જોડાઇ શકશે ડિજિટલ લાઇબ્રેરીમાંથી પુસ્તક વાંચન અર્થે શાળાના વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ શાળાના શિક્ષકો, ગ્રામજનો તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ લઇ જઇ શકશે. જેના માટે લાઇબ્રેરીના સોફ્ટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવાનુ રહેશે એમ જણાવ્યુ છે.
નવસારીમાં જ્યાં બે લેકફ્રન્ટ છે ત્યાં વધુ 6 થી વધુ બની રહ્યા અને પ્લાનિંગમાં પણ 3 હોય શહેર આગામી દિવસોમાં રાજ્યનું લેકફ્રન્ટ સિટી બનવા તરફ જઈ રહ્યું છે. નવસારી શહેરમાં એક સમયે હરવાફરવા માટે એકલદોકલ સ્થળ હતા.પરિવાર યા બહારગામથી આવેલ સંબંધીને ફરવા દાંડી જ લઈ જવું પડતું યા એકાદ બાગમાં વિઝિટ કરાવવી પડતી હતી. જોકે છેલ્લા કેટલાક સમયથી સ્થિતિ બિલકુલ બદલાવા માંડી છે. એક પછી એક હરવાફરવાના સ્થળ બની રહ્યા છે, જેમાં લેકફ્રન્ટ વધુ છે. શહેરમાં પ્રથમ સારું લેકફ્રન્ટ દુધિયા તળાવ ફરતે પાલિકાએ ચારેક વર્ષ અગાઉ બનાવ્યું, જેનો હજારો લોકો વૉકિંગ,હરવા ફરવા માટે ઉપયોગ કરે છે. ત્યારબાદ ટાટા તળાવ ફરતે અને શરબતીયા તળાવ ફરતે બનાવ્યું,જે બન્નેમાં હાલ ફેરફાર કરાઈ રહ્યો છે. વિજલપોરમાં ડોલી તળાવ લેકફ્રન્ટ બાદમાં બન્યું, આમ હાલ બે લેકફ્રન્ટ છે. મહત્વની બાબત એ છે કે હાલ વળી 6થી વધુ લેકફ્રન્ટ બની રહ્યા છે, જેમાં ઇટાળવા તળાવના મેગા પ્રોજેક્ટ સાથે શરબતીયા તળાવ, થાણા તળાવ, એરુ તળાવ, હાંસાપોરમાં બે તળાવનો સમાવેશ થાય છે. આ માટે મહાનગરપાલિકા કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરી રહી છે. રાજ્યમાં ભાગ્યેજ નવસારીના કદના શહેરમા આટલા બધા લેકફ્રન્ટ બનશે. તળાવ ફરતે આ સુવિધાતળાવ ફરતે હોવાના કારણે કુદરતી સૌંદર્યનો સહજ અનુભવ થાય છે.સાથે અહીં તળાવ ફરતે અનેક સુવિધાઓ અહીં આવનાર લોકો માટે ઊભી કરાઈ રહી છે. જેમાં ફૂડ ઝોન, વોકિંગ,સેટિંગ વ્યવસ્થા, ફુવારા, ચિલ્ડ્રન પ્લે એરિયા ઉપરાંત કેટલાક તળાવમાં તો અન્ય સુવિધા પણ હશે. રિવરફ્રન્ટને પણ હજુ અવકાશનવસારી શહેરમાં લેકફ્રન્ટ તો એક પછી એક બની રહ્યા છે, પરંતુ અહીંથી એક નદી પૂર્ણા પસાર થવા છતાં તંત્રએ એકપણ રિવરફ્રન્ટ બનાવ્યો નથી. શહેરમાં પશ્ચિમે જલાલપોરથી લઇ પૂર્વે ધારાગીરી સુધીના લગભગ 6 થી 8 કિલોમીટરના એરીયા સુધી નદીનો પટ છે. વધુમાં અહીં પૂર્ણા ડેમ પણ બની રહ્યો છે. જેને લઇ આગામી સમયમાં બારેમાસ પાણી રહે એવી શક્યતા છે. આ સ્થિતિમાં રિવરફ્રન્ટને અવકાશ છે. મનપાએ પૂર્ણા નદી કાંઠે વોલ બનાવવાનો હાલમાં જ નિર્ણય લીધો છે. આકર્ષણરૂપ બે જોવાલાયક સ્થળનવસારીમાં જોવાલાયક સ્થળ ભૂતકાળમાં લગભગ નહિવત હતા. જોકે મનપા આવ્યા બાદ બે બનાવ્યા છે.જેમાં અજગરવાળા બાગમાં બનાવાયેલ ગ્લો ગાર્ડન અને ટાટા તળાવ પરિસરમાં બનાવાયેલ મ્યુઝિકલ, લાઇટ, ફાઉન્ટન શો છે. આ બે પ્રોજેક્ટો રાજ્યમાં એક બે સ્થળે હોવાનું જાણવા મળે છે. જેથી અહીં શહેરીજનો અને બહારથી આવનાર લોકો માટે પણ આકર્ષણ છે. વધુ આ 3 જગ્યાએલેકફ્રન્ટનું આયોજનજ્યાં એક લેકફ્રન્ટ છે, 6 બની રહ્યા છે ત્યાં વળીવધુ 4 તળાવ ફરતે આયોજન કરાઇ રહ્યાનીજાણકારી મળી છે, જે માટે હાલ રજૂ કરાયેલનવસારી મનપાના બજેટમાં પણ જાહેરાત કરીદેવાઈ છે. જેમાં વિજલપોરના ગામ તળાવ અનેગંગા તળાવ ઉપરાંત કબીલપોર ચોવીસીતળાવ લેકફ્રન્ટ માટે કુલ 15 કરોડની જોગવાઈકરી છે.
મંડે પોઝિટીવ:રક્તદાન શિબિર યોજી દીકરીનો જન્મદિન પરિવારે ઉજવ્યો
નવસારીમાં રહેતા રવિજા અને હાર્દિકભાઈની દીકરી રાવીનો બીજો જન્મદિવસ માત્ર કૌટુંબિક ઉત્સવ બનીને ન રહેતા, સમગ્ર સમાજ માટે એક પ્રેરણાદાયી સેવાકીય યજ્ઞ બની રહ્યો. સામાન્ય રીતે જન્મદિવસની ઉજવણીઓમાં ભપકાદાર પાર્ટીઓ થતી હોય છે, પરંતુ આ પરિવારે સતત બીજા વર્ષે રક્તદાન શિબિરનું આયોજન કરી માનવતાની મહેક પ્રસરાવી છે. ગત વર્ષે પ્રથમ જન્મદિવસે 60 રક્ત બેગ એકત્ર કર્યા બાદ, આ વર્ષે રાવીના બીજા જન્મદિને ઉત્સાહી રક્તદાતાઓના સહયોગથી કુલ 108 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ આંકડો માત્ર સંખ્યા નથી, પરંતુ અનેક જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાન સમાન છે. આ અસાધારણ કાર્યને સફળ બનાવવામાં પરિવારના વડીલોના આશીર્વાદ અને મિત્ર વર્તુળનો અવિરત સાથ-સહકાર સાંપડ્યો હતો. નવસારી રેડક્રોસના સેવાભાવી ડોક્ટરો અને ટેકનિકલ સ્ટાફના વિશેષ સહયોગથી આ સમગ્ર શિબિર સુચારુ રૂપે સંપન્ન થઈ હતી. આ પ્રસંગે આયોજક રજવાડી ડ્રેસીસના ભરતભાઈ શાહ દ્વારા દરેક રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે સ્મૃતિ ભેટ એનાયત કરાઇ હતી, સાથે જ તમામ માટે સ્વાદિષ્ટ નાસ્તા અને સાત્વિક ભોજનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમાજને પ્રેરણા મળે તે માટે સતત બે વર્ષથી રક્તદાન શિબિરહાલના સમયમાં લોકો જન્મદિવસ નિમિત્તે વિવિધ સામાજિક કાર્યો કરતા થયા છે, જે ખૂબ જ આવકારદાયક બાબત છે. રાવીના જન્મદિવસે લોકો માત્ર આશીર્વાદ આપવા જ નહીં, પરંતુ રક્તદાન કરીને સમાજનું ઋણ અદા કરે તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે આ સેવાકીય યજ્ઞ યોજાયો હતો. આ તકે પરિવારે રક્તદાન કરવા આવેલા તમામ રક્તદાતાઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આમ, નવસારીના આ પરિવારે દીકરીના જન્મદિનને રક્તદાન સાથે જોડીને સમાજમાં 'સેવા પરમો ધર્મ'ના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કર્યું છે. સમાજમાં લોકો પણ જન્મદિન અને સારા કાર્યક્રમો નિમિત્તે રક્તદાન કરી માનવતાનું કામ કરે તે માટે શિબિરો યોજે તેવી અપીલ છે. > ભરતભાઇ શાહ, રક્તદાન આયોજક
સિદ્ધિ:જિલ્લામાં સહકારી મંડળીનો પ્રથમ એવોર્ડ ધામણ મંડળીને
નવસારીની ધામણ સેવા સહકારી મંડળીને જિલ્લાની મંડળીમાં પ્રથમ ક્રમ મળ્યો છે. હાલમાં સહકારી મંડળીઓના એવોર્ડની જાહેરાત થઈ, જેમાં નવસારી જિલ્લામાં પ્રથમ ક્રમ નવસારીની ધામણ સેવા સહકારી મંડળી લી.ને મળ્યો ,જે પેટે 5 લાખ રૂપિયા પણ મળશે. બીજો ક્રમ અમલસાડ વિભાગ વી. કા.સહકારી ખેડૂત મંડળીને મળ્યો, જે પેટે 3 લાખ મળશે. ધામણ મંડળીના કાર્યક્ષેત્રમાં ચાર ગામ ધામણ ઉપરાંત સરઈ, આસુંદર અને ચોખડ આવે છે. અહીં ખેડૂતલક્ષી અનેક ધિરાણ, વેચાણ સહિતની પ્રવૃત્તિ થાય છે અને કરોડોનું ટર્નઓવર છે. કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલય ધ્વારા અપાયેલ સૂચના મુજબ તાબડતોડ બાયલોઝમાં સુધારો કરી પેટ્રોલ પંપની કામગીરી પણ શરૂ કરી છે. મંડળી છેલ્લા 77 વર્ષથી કાર્યરત છે, જેના પ્રમુખપદે છેલ્લા 8 વર્ષથી અમિતભાઈ પટેલ કાર્યરત છે.
LCBની ટીમને મળી મોટી સફળતા:વાહન ચોરીના કેસોમાં 5 વર્ષથી ફરાર ચોંગડ ગેંગનો આરોપી ઝબ્બે
નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલની સૂચના અને એલ.સી.બી. પી.આઈ. વી.જે.જાડેજાના માર્ગદર્શન હેઠળ નવસારી એલ.સી.બી. ટીમે મોટી સફળતા મેળવી છે. છેલ્લા 5 વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા અને 30 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા મધ્યપ્રદેશની કુખ્યાત ચોંગડ ગેંગના રીઢા આરોપી સચીન જુગલીયાભાઈ ચૌગડને એલ.સી.બી. સ્ટાફના અર્જુનભાઈ, નિલેશભાઈ અને વિજયભાઈને મળેલ બાતમીના આધારે ધોળાપીપળા બ્રિજ નીચેથી ઝડપી પાડવામાં આવ્યો છે. સુરતના પાંડેસરા અને સચીન GIDC પોલીસ મથકના વાહન ચોરીના કુલ 10 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. હાલ આરોપીને વધુ કાર્યવાહી માટે નવસારી રૂરલ પોલીસને સોંપવામાં આવ્યો છે. ચોંગડ ગેંગના આરોપીની મોડસ ઓપરેન્ડી આરોપી અલીરાજપુર (MP) થી ખાનગી વાહનમાં ગુજરાત આવી, રાત્રિના સમયે એકલતાનો લાભ લઈ મોંઘી બાઈકોના લોક તોડી તેને વતનમાં સસ્તા ભાવે વેચી દેતો હતો.
શ્રમિક મહિલાઓએ MLA સમક્ષ વેદના ઠાલવી:વાંસદામાં મનરેગામાં કામ કરતા શ્રમિકોને જાન્યુઆરીથી પગાર નહીં
વાંસદા તાલુકામાં મનરેગા હેઠળ કામ કરતા હજારો શ્રમિકોને જાન્યુઆરી મહિનાથી મજૂરી નહીં મળતા પરિસ્થિતિ ચિંતાજનક બની છે. રોજંદી કમાણી પર નિર્ભર રહેલા ગરીબ અને આદિવાસી શ્રમિકો માટે ઘરખર્ચ ચલાવવો હવે મુશ્કેલ બન્યો છે. ખાસ કરીને મહિલાઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે, જેમણે ખુલ્લેઆમ સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. માહિતી મુજબ તાલુકાની અંદાજે 84 ગ્રામ પંચાયતોમાં મનરેગા કામકાજ ચાલુ હોવા છતાં મજૂરોને છેલ્લા ત્રણ મહિનાથી મજૂરી ચૂકવવામાં આવી નથી. પરિણામે અનેક પરિવારો આર્થિક સંકટમાં સપડાયા છે. ખોરાક, બાળકોના અભ્યાસ, આરોગ્ય જેવી આવશ્યક જરૂરિયાતો માટે પૈસાની તંગી ઊભી થઈ છે. આ ગંભીર મુદ્દે વાઘાબારી દૂધ મંડળી ખાતે શ્રમિક મહિલાઓએ એકત્રિત થઈ ધારાસભ્ય અનંત પટેલ સમક્ષ પોતાની વેદના રજૂ કરી હતી. મહિલાઓએ જણાવ્યું હતું કે, “અમે કામ તો કરીએ છીએ, પરંતુ મહેનતાણું સમયસર મળતું નથી. હવે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે.” આ પ્રસંગે ધારાસભ્ય અનંત પટેલે સરકાર પર તીખા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, “ગામડાના ગરીબોને રોજગાર મળે તે માટે કોંગ્રેસ સરકારે મહાત્મા ગાંધીના નામે મનરેગા કાયદો અમલમાં મૂક્યો હતો, પરંતુ હાલની સરકારે આ યોજનાને ખોખલી બનાવી દીધી છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “મજૂરોની મહેનતનો પૈસો અટકાવવો એ તેમના અધિકારોનું હનન છે. જો તાત્કાલિક બાકી મજૂરી ચૂકવવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરવા મજબૂર થઈશું.” શ્રમિક મહિલાઓએ પણ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સરકાર તેમની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવશે નહીં તો તેઓ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરશે. હાલ સમગ્ર વાંસદા તાલુકામાં આ મુદ્દે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
ગામ ગામની વાત:નાના બાદનપર ગામને તિસરી આંખનું સુરક્ષા કવચમળ્યું , સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયું
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના 300ની વસ્તી ધરાવતા નાના બાદનપર ગામમાં ગ્રામજનોની સુરક્ષામાં વધારો થાય તે હેતુથી ગામના વિવિધ સ્થળો પર 21 જેટલા સીસીટીવી કેમેરા નાખવામાં આવ્યા છે તેમ ગામના અગ્રણી હંસાબેન જગદીશભાઈ સાંગાણીએ જણાવ્યું હતું. વધુમાં તેણીએ જણાવ્યું હતું કે, ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સો ટકા ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગામમાં જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું છે તેમજ કચરાપેટીનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. ગામના સ્મશાનમાં કમ્પાઉન્ડ વોલ નું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે આ ઉપરાંત ગામની પ્રાથમિક શાળામાં પાણીની ટાંકી તેમજ કમ્પાઉન્ડ વોલ કામ કરવામાં આવ્યું છે. ગામમાં પાણીની અછત ન સર્જાય તે માટે એક લાખ લીટરની ક્ષમતા વાળો પાણીનો ટાંકો તેમજ પાણીનો સંમ્પ બનાવવામાં આવ્યો છે. ગ્રામજનોને આવા ગમન કરવામાં મુશ્કેલી ન પડે તે હેતુથી સમગ્ર ગામમાં પેવર બ્લોક નાખવામાં આવ્યા છે. 35 સ્ટ્રીટ લાઈટ નાખી અંધારા દૂર કરાયા ગામમાં રાત્રી દરમિયાન ગ્રામજનોને આગમન કરવામાં મુશ્કેલી ન પડે તેમ જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ગામમાં 35 જેટલી સ્ટ્રીટ લાઈટ નાખીને અંધારા દૂર કરવામાં આવ્યા છે આ ઉપરાંત ગામમાં પાણીનો સંગ્રહ વધુ થાય તે હેતુથી બે ચેક ડેમ બનાવવામાં આવ્યા છે. બાળકો માટે પંચવટી બગીચો બનાવ્યોગામમાં બાળકો માટે ખાસ પંચવટી બગીચો એક એકર ની અંદર બનાવવામાં આવ્યો છે જેમાં ખાસ રમત ગમતના સાધનો મૂકવામાં આવ્યા છે આ ઉપરાંત સમયાંતરે તેમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવે છે ગામોમાં ત્રણ અવેડા અને એક ચબૂતરો પણ બનાવવામાં આવ્યો છે. નિર્મળ ગામનો એવોર્ડગામમાં પહેલેથી જ સ્વચ્છતા માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા છે આઉપરાંત ગામોમાં સો ટકા ભૂગર્ભ ગટરનું કામ પણ પૂર્ણ કરવામાં આવ્યું છેતેમજ ગામ લોકો પણ સ્વચ્છતા સારી રીતે જાળવી રાખે છે. જેને પગલે ગામનેનિર્મળ ગામનો એવોર્ડ પણ મળ્યો છે.
જામનગર શહેરમાં 13 પરીક્ષા કેન્દ્રો પર રવિવારે ગુજકેટની પરીક્ષા યોજાઇ હતી. જેમાં ફિઝીકસ- કેમેસ્ટ્રીમાં 2504, બાયોલોજીમાં 1231 અને મેથ્સમાં 1285 પરીક્ષાર્થીઓ હાજર રહયા હતા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોડૃ દ્વારા રવિવારે જામનગર અને દેવભૂમિ સહિત રાજયમા ઘો.12 વિજ્ઞાન પ્રવાહ પછી ડીગ્રી એન્જીનીયરીંગ,ફાર્મસી અને મેડિકલ ફેકલ્ટીમાં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટનુ આયોજન થયુ હતુ. જામનગર શહેરમાં જુદા જુદા 13 સેન્ટરો પર પરીક્ષા લેવામાં આવી હતી.સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ તમામ પરીક્ષા કેન્દ્રો પર સવારે સૌપ્રથમ ફીઝીકસ-કેમેસ્ટ્રીનુ પેપર યોજાયુ હતુ જેમાં કુલ 2560 પરીક્ષાર્થીઓ પૈકી 2504 છાત્રો હાજર અને 56 છાત્રો ગેરહાજર રહયા હતા.જે બાદ બાયોલોજીમાં કુલ 1263 પરીક્ષાર્થીઓ પૈકી 32 પરીક્ષા ગેરહાજર રહયા હતા જયારે 1237 પરીક્ષાર્થીઓએ પેપર આપ્યા હતા. જે બાદ મેથ્સના પેપરમાં કુલ 1311 પરીક્ષાર્થીઓ પૈકી 1285 પરીક્ષાર્થીઓ હાજર રહયા હતા જયારે 26 પરીક્ષાર્થી ગેરહાજર રહયા હતા. તમામ કેન્દ્રો પર શાંતિપુર્ણ વાતાવરણમાં પરીક્ષા પૂર્ણ થઇ હતી. ખંભાળિયામાં ત્રણ કેન્દ્ર પર ગુજકેટની પરીક્ષા યોજાઈ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં જુદા જુદા ત્રણ પરીક્ષા કેન્દ્ર પર ગુજકેટની પરીક્ષા યોજાઇ હતી જેમાં ફીઝીકસ-કેમેસ્ટ્રીમાં ગુજરાતી મીડીયમમાં 324 વિધાર્થી હાજર અને 5 ગેરહાજર રહયા હતા.જયારે ઇંગ્લીંશ મિડીયમમાં 74 છાત્રોએ પેપર આપ્યા હતા જયારે બે વિધાર્થી ગેર હાજર રહયા હતા.આમ, કુલ 405 પરીક્ષાર્થીઓ પૈકી 398 વિધાર્થીઓએ પેપર આપ્યા હતા.જયારે સાત પરીક્ષાર્થીઓ ગેરહાજર રહયા હતા.
વેધર રિપોર્ટ:શહેરમાં 24 કલાકમાં જ મહતમ પારો 3.5 ડિગ્રી ગગડયો, 32 ડિગ્રી
શહેરમાં એકજ દિવસમાં મહતમ તાપમાનનો પારો 3.5 ડિગ્રી ગગડયો હતો અને 32 ડિગ્રી પર સ્થિર થતા જનજીવને ગરમીથી મહદઅંશે રાહત મેળવી હતી.જોકે,સતત બીજા દિવસે વેગીલો વાયરો ફુંકાતા પવનની ઝડપ દશથી ત્રીસ કિ.મિ. સુધી રહી હતી જે અમુક તબકકે પાંત્રિસ કિ.મી. સુધી પહોચી હતી.જામનગર સહિત આજુબાજુ અમુક પંથકમાં સવારે સામાન્ય છાંટા પણ પડયા હતા. જામનગરમાં શનિવારે સવારે પુરા થતા 24 કલાક સુધીમાં મહતમ તાપમાનનો પારો ક્રમશ: વધી 35.5 ડિગ્રી પર સ્થિર થયો હતો. જે બપોર બાદ અમુક સ્થળોએ હવામાનમાં પલટા સાથે ઝંઝાવાતી પવન ફૂ઼કાયો હતો.વાતાવરણમાં ફેરફાર વચ્ચે રવિવારે ફરી તાપમાન ગગડયુ હતુ અને 3.5 ડિગ્રીના ઘટાડા સાથે મહતમ પારો 32 ડિગ્રી પર સ્થિર થયો હતો. વેસ્ટર્ન ડીર્સ્ટબન્સના કારણે વરસાદી માહોલની શકયતા રાજયમાં ફરી હવામાનમાં પલટા સાથે વેર્સ્ટન ડીર્સ્ટબન્સ અને ટર્ફના સંયુકત પ્રભાવના કારણે વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાવાની શકયતા હવામાન શાસ્ત્રીઓ દ્વારા દર્શાવાઇ હતી.જે સાથે રાજયમાં અમુક સ્થળે 30થી 40 કિ.મિ.ની ઝડપ પવન ફૂંકાવાની પણ શકયતા વ્યકત કરાઇ હતી. જામનગર-દેવભૂમિમા રવિવારે અમુક સ્થળોએ આકાશમાં છુટાછવાયા વાદળો પણ જોવા મળ્યા હતા.જોકે, મોડીસાંજ સુધી કયાંય વરસાદના કોઇપણ વાવડ મળ્યા નથી.
જામનગર તાલુકાના મસીતીયા ગામે હઝરત પીર કમરૂદીનશાહ બાબાના ઉર્ષ નિમિતે પરંપરાગત ઘોડા-ઉંટ ગાડી રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રભરમાંથી 30 જેટલા જાતવંત ઘોડાઓ સાથે ઘોડેશ્વારોએ તેમજ ઉંટગાડીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. કોમી એકતાના પ્રતિક સમા મસીતીયા ગામે હઝરત પરી કમરૂદીનશાહ બાબાના ઉર્ષ નિમિતે શનિવારે યોજાયેલા પરંપરાગત ઘોડા રેસમાં હાજી અયુબભાઈ ખફીનો જલાલી 1616 નામનો ઘોડો પ્રથમ ક્રમે વિજેતા બન્યો હતો. તો ઉંટ ગાડીની રેસમાં અશરફ અલ્તાફ ખફીનો ઉંટ પ્રથમ ક્રમે આવ્યો હતો. મસીતીયા ગામમાં પરંપરાગત યોજાયેલી આ રેસમાં વિજેતાઓને પાઘડી પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પાઘડીનું સન્માન મેળવવા માટે મોટી સંખ્યામાં ઘોડેસ્વારો તેમજ ઉંટગાડીઓની રેસમાં સ્પર્ધકો ભાગ લે છે. વિજેતાઓને ગામના સરપંચ કારાભાઈ ખફી દ્વારા પાઘડી પહેરાવામાં આવી હતી. આ ઉર્ષના મેળામાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો અને આજુબાજુના ગામના હિન્દુ સમાજના લોકોઆ ઉર્ષ પ્રસંગે મસીતીયા ગામની મુલાકાત લઈને કોમી એકતાનું ઉદાહરણ પરું પાડે છે. રેસ પુર્ણ થયા બાદ ઘોડેશ્વારને પાઘડી પહેરાવામાં આવી તે સમયે ઢોલ-નગારાના તાલે ઘોડા ઉપર પણ નોટોનો વરસાદ કર્યો હતો.
મંડે પોઝિટીવ:કમોસમી વરસાદ, ઓછા વાવેતરના કારણે જામનગરમાં મસાલા બજાર ગરમ, મરચાના ભાવમાં 25 ટકાનો વધારો
ગુજરાતીઓ ખાણી-પીણીના શોખીન હોય છે. આખુ વર્ષ એક સરખો સ્વાદ અને ભેળસેળથી બચવા માટે આખા વર્ષના મસાલાઓ ભરાવે છે. ત્યારે જામનગરમાં માર્ચ માસના પ્રારંભ સાથે જ લોકો મરચા, હળદર, ધાણા-જીરૂની આખા વર્ષની ખરીદી કરે છે. ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને ઓછા વાવતેરના કારણે મરચાના ભાવમાં 25 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. જામનગરની બજારમાં ચારથી પાંચ જાતના મરચાઓની આવક થાય છે. જેમાં ચાલુ વર્ષે આવેલા મરચાઓમાં રેશમ પટ્ટો કિલોના રૂ.340થી 360 તેમજ તીખી મરચીના રૂ.240થી 260, ઘોલર મરચુ રૂ.450થી 550 તેમજ કાશ્મીરી મરચાના રૂ.680થી 900 સુધીના ભાવે છુટકમાં વેંચાણ થાય છે. તો હળદરની વાત કરીએ તો ત્રણ જાતની આવે છે અને રૂ.240 થી 280 સુધીના ભાવ છે. તેમાં વધારો જોવા મળતો નથી. તો ધાણામાં કીલોએ રૂ. 25 થી 30ના વધારા સાથે કીલોના રૂ.120 થી લઈને 200 સુધીના ભાવ છે. જીરામાં કીલોએ માત્ર 20 થી 25ના સાથે રૂ.260થી 300 સુધીના ભાવે વેંચાણ થાય છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષે મરચામાં 25 ટકાથી વધુનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. તેમ છતાં લોકો મરચા સહિતના મસાલાઓની આખા વર્ષની ખરીદી કરી રહ્યા છે. શહેરમાં છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ગોંડલ તેમજ સુરેન્દ્રનગર બાજુથી મરચા, હળદર, ધાણા-જીરૂના વેંચાણ માટે ધંધાર્થીઓ આવે છે. ચાલુ વર્ષે અંદાજે 30 જેટલા ધંધાર્થીઓ આવ્યા છે, તેઓ મરચા, હરદળ, ધાણા-જીરૂ દળવા મશીનો પણ સાથે લાવે છે અને મરચાઓ પણ સાથે જ હોય છે. જે ગ્રાહક આવે અને મરચાની પસંદગી કરે તે મરચાઓ પણ ત્યાં જ દળી આપે છે. આ ઉપરાંત શહેરમાં પણ વર્ષો જુના મસાલા દળવાની કામગીરી કરે છે, તેમજ ઓર્ડર મુજબ આખા મરચા, હળદર, ધાણા-જીરૂની ખરીદી કરી તેનો પાવડર કરીને ઘર સુધી પહોંચાડી આપે છે. જેનો તેઓ થોડો વધુ ભાવ લેતા હોય છે. ખેડુતોને ગત વર્ષે ઓછો ભાવ મળતા વાવેતર ઓછુંચાલુ વર્ષે દિવાળી સમયે કમોસમી વરસાદના કારણે અમુક મરચાના પાકને નુકશાની થઈ છે. તેમજ ગત વર્ષે મળેલા ઓછા ભાવથી ખેડુતોએ મરચાનું ઓછુ વાવેતર કર્યુ હતું. જેથી મરચાનું ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો હોવાથી ભાવમાં આ વર્ષે વધારો જોવા મળી રહ્યો છે. હાલ સ્થાનિક કરતા અન્ય રાજ્યમાંથી મરચા મંગાવવા પડે છે.> હિતેનભાઈ વેપારી આદિત્ય એન્ટરપ્રાઈઝ મરચાની આંધ્રપ્રદેશ, હળદરની રાજસ્થાનથી આવકજામનગરમાં માર્ચ માસ પહેલા જ મરચા-હળદરની અન્ય રાજ્યોમાંથી આવક શરૂ થઈ જાયછે. જેમાં મરચાની આવક મોટા ભાગે આંધ્રપ્રદેશમાંથી આવે છે. તેમજ હળદરનીરાજસ્થાનમાં આવક કરાતી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.
ભાસ્કર એક્સક્લુસિવ:બીનવાડામાં ખેડૂતની આંબાવાડીમાં એક વૃક્ષ પર 22 પ્રકારની કેરી લાગી
વલસાડ બીનવાડા ગામના ખેડૂત મોહનભાઈ પટેલ દ્વારાબાગાયત પાકમાં 5 વર્ષના કેરીના વૃક્ષ પર 80 જેટલી જુદી જુદી જાતની કેરીઓનું ગ્રાફ્ટિંગ કર્યું. ઊંચાઈ 12 ફૂટ, જેટલી એના ઉપર મોહનભાઈએ 80 જેટલી કેરીની વિવિધ જાતની કેરીનું ગ્રાફ્ટિંગ કર્યું, તેમણે ગત વર્ષના ચોમાસા દરમિયાન 10 મહિના પહેલા આ ઝાડ પર ડ્રાફ્ટિંગ કર્યું હતું. જેમાં 80 જેટલી વિવિધ મેંગો વેરાઈટી ગ્રાફ્ટિંગ કરી હતી.ચોમાસામાં ભારે વરસાદ, પવનથી 8જેટલી ગ્રાફ્ટિંગ કરેલી ડાળીઓ તૂટી ગઈ હતી. જેમાંથી 70 વેરાઈટી સફળ રહી છે. એક જ ઝાડ પર 100જાતની કેરી લગાડવીએક ઝાડ પર 100 જાતની કેરીલગાડવી તે મારો લક્ષ્ય છે.અનેક પ્રકારની કેરીનો સ્વાદ ચાખીશકાશે.આ વલસાડના ઇતિહાસમાં આવા અનોખો પ્રયોગ કહી શકાય તેમ છે. આ પ્રયોગની પ્રેરણા,જ્યારે યૂપી પ્રવાસે ગયા હતા ત્યારે,એક નર્સરીમાં જોયું હતું. એક ઝાડપર 50 કેરીઓ લટકતી હતી, દેશ વિદેશની આ જાતિપ્રકારની કેરી
મંડે પોઝિટીવ:રોહિણા આશ્રમશાળા હવે અદ્યતન બની
પારડીના રોહિણા ગામે પછાત વર્ગ સેવા સંઘ સંચાલિત આશ્રમશાળા ખાતે વિવિધ વિકાસ કાર્યોનો ઉદ્ઘાટન સમારોહ રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ આશ્રમશાળાની સ્થાપના ૧૯૬૭માં સ્વ. ઈશ્વરભાઈ દેસાઈ, સ્વ. ઉત્તમભાઈ પટેલ અને સ્વ. રમણભાઈ પટેલ દ્વારા ગરીબ અને આદિવાસી બાળકોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવી હતી. હાલ આ સંસ્થા આધુનિક સુવિધાઓથી સજ્જ બની છે. કાર્યક્રમ દરમિયાન કોમ્યુનિટી હોલ, સોલાર પેનલ સિસ્ટમ અને આર.ઓ. વોટર કુલર પ્લાન્ટ જેવા પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, અહીં પુસ્તકિયા જ્ઞાનની સાથે કોમ્પ્યુટર અને સીવણ જેવા સ્કિલ આધારિત વર્ગો ચાલી રહ્યા છે, જે બાળકોને આત્મનિર્ભર બનાવશે. તેમણે સંસ્થાના પ્રમુખ નટુભાઈ પટેલ અને દાનવીરોની કામગીરીને બિરદાવી આગામી સમયમાં સાયન્સ પ્રવાહ શરૂ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ જણાવ્યું કે, આ સંસ્થા કપરાડા અને ધરમપુરના આદિવાસી બાળકો માટે આશીર્વાદરૂપ છે. વડીલોએ શરૂ કરેલી આ સેવાકીય પરંપરાને આપણે આગળ ધપાવવાની છે. હાલમાં જ ધોરણ-૯ ના વર્ગની મંજૂરી મળી છે અને આગામી સમયમાં ધોરણ-૧૦ ના ક્રમિક વર્ગો પણ શરૂ કરવામાં આવશે. આમ, રોહિણા આશ્રમશાળા આધુનિક શિક્ષણ અને સુવિધાઓનું કેન્દ્ર બની રહી છે. આ પ્રકલ્પોનું લોકાર્પણ કરાયુંઆ આશ્રમ શાળામાં જેટકો વડોદરા CSR પ્રોજેક્ટ તરફથી વાપી VIA મારફતે કુલ રૂ. 62,18,834ના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં કોમ્યુનિટી હોલ, કમ્પાઉન્ડ વોલ,20 KW સોલાર પેનલ સિસ્ટમ અને આ ઉપરાંત વિવિધ દાતાશ્રીઓના સહયોગથી અન્ય સુવિધાઓમાં , પ્રાર્થના મંદિર, સાયન્સ લેબ,કમ્પ્યુટર લેબ, કૌશલ્ય વર્ધન કેન્દ્ર (સીવણ ક્લાસ), આરઓ વોટર કુલર પ્લાન્ટ અને આશ્રમ વાટિકા આ રીતે કુલ 9 એકમોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

27 C