આધેડને ક્રૂરતાથી મારનાર ઝડપાયા:મોરબી શહેરમાં જમીન દલાલના હત્યા પ્રકરણમાં ફરાર વધુ બે આરોપી ઝડપાયા
મોરબીના વિસીપરામા રહેતાં અને જમીન મકાન લે વેચના ધંધાર્થીનું થોડા સમય પહેલાં લાલબાગથી અપહરણ કરી માર મારી હત્યા કરી દેવાઈ હતી. તેનો કોઇ આતોપતો ન મળે તે માટે તેની લાશ પીપળી રોડ પર આવેલી બંધ ફેક્ટરીના પરિસરમાં ખાડો ખોદીને દાટી દેવાઈ હતી અને તેના પર કોંક્રિટ ભરી ધાબુ ભરી પુરાવાનો નાશ કરાયો હતો. આ ઘટનામાં પોલીસે 7 શખ્સ સામે ગુનો નોંધી 5 આરોપીની ધરપકડ કરી હતી અને બે આરોપીઓની શોધખોળ ચાલી રહી હતી. દરમિયાન આ બન્ને ફરાર આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી હતી. જે તે સમયે આ ઘટનાએ મોરબીમાં ચર્ચા જગાવી હતી. મોરબીના વીસીપરામાં રહેતા જમીન મકાનના ધંધાર્થીની તાજ મહંમદ ભટ્ટીની ગત તા 19 ના રોજ લાલબાગ નજીકથી વાતચીત કરવાના નામે બાલુભાઈ અઘારા તેની કારમાં બેસાડી અપહરણ કરી ભડીયાદ નજીક ફાર્મ હાઉસમાં લઈ જવાયા બાદ તેને 6 શખ્સએ ઢોર માર માર્યો હતો અને એક ઓરડીમાં ગોંધી રાખ્યો હતો જ્યાં તેનું ઇજાના પગલે મોત નિપજ્યું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો. માર માર્યા બાદ તાજ મહંમદ ભટ્ટીનું મોત થતાં આરોપીઓ ડરી ગયા હતા અને આરોપીઓએ બેલા ગામ નજીક ફેક્ટરીના કમ્પાઉન્ડમાં ખાડામાં લાશને ડીઝલથી સળગાવી દઈ બાદમાં દાટી દીધી હતી, ઉપર માટી પાથરી તેની ઉપર ક્રોંક્રિટનું ધાબું ભરી દીધું હતું. આ ઘટનામાં 7 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી, જીતેશ બાલુભાઈ ઝાલરિયા, ભાવેશ થોભણભાઈ અધારા ફરાર હતા જેને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.
કેસરબાગનું થશે કાયાપાલટ:મોરબીના કેસરબાગને સ્માર્ટ પાર્ક તરીકે વિકસાવવાના પ્રોજેક્ટનું 25% કામ પૂર્ણ
મોરબી શહેરના વિકાસમાં નવું છોગું ઉમેરતા મોરબી મહાનગરપાલિકાના ડ્રીમ પ્રોજેક્ટ કેસરબાગને સ્માર્ટ પાર્ક બનાવવાની કામગીરી અત્યારે યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટનું 25 ટકા જેટલું ભૌતિક કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા આ પ્રોજેક્ટમાં વહીવટી સરળતા માટે વોર્ડ ઓફિસ અને નાગરિકોના સ્વાસ્થ્ય માટે આધુનિક બગીચાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. કેસરબાગમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નવી કમ્પાઉન્ડ વોલ અને સુરક્ષા કેબિનનું પાયાનું કામ તેમજ સ્ટ્રક્ચરલ ફ્રેમવર્ક પૂર્ણતાના આરે છે. ગ્રાઉન્ડ લેવલિંગમાં સ્ટોન વોક-વે અને ડ્રેનેજ સિસ્ટમ માટેનું માર્કિંગ અને લેવલિંગ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. હરિયાળી માટેની તૈયારીમાં ડ્રિપ ઈરિગેશન અને સ્પ્રિંકલર સિસ્ટમ માટેની પાઈપલાઈન નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આગામી સુવિધાઓમાં યોગા એરિયાનું ફ્લોરિંગ, બાળકો માટેના પ્લે-ગાર્ડન ઇક્વિપમેન્ટ્સની ફિટિંગ અને પ્રતિમા સ્થાપિત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ સાથે જ મેટલ બેન્ચીસ અને સુશોભિત વૃક્ષોના વાવેતરની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા જ મોરબીવાસીઓને એક જ સંકુલમાં વહીવટી કામગીરી, વાંચન અને માનસિક શાંતિ માટેનું શ્રેષ્ઠ સ્થળ પ્રાપ્ત થશેતેવું મનપાએ જણાવ્યું છે.
જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શનિવારે જનજાગૃતિ અને સંગઠન પર્વનું આયોજન કરવામાં આવ્યું હતુ. સમાજ અને રાષ્ટ્ર બચાવો ઝુંબેશ હેઠળ યોજાનારા આ કાર્યક્રમમાં મોંઘવારી, બેરોજગારી અને ડ્રગ્સ જેવા સામાજિક દૂષણો સામે અવાજ ઉઠાવવાનું આયોજન કરાયું હતું. આ સાથે જ પક્ષની વિચારધારાથી પ્રભાવિત થઈને 200 નવા સભ્યોને કોંગ્રેસનું પ્રાથમિક સભ્યપદ આપી પક્ષમાં જોડાશે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ વિવિધ પક્ષોએ અત્યારથી તૈયારીઓ શરૂ કરી છે. સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પર આવેલા દિવ્યશક્તિ પાર્ટી પ્લોટ ખાતે બપોરે કલાકે આ કાર્યક્રમનો પ્રારંભ થશે. કોંગ્રેસ સમિતિ દ્વારા જારી કરાયેલી વિગતો મુજબ વર્તમાન સમયમાં વકરી રહેલા ભ્રષ્ટાચાર, આરોગ્ય ક્ષેત્રે જોવા મળતી બેદરકારી અને આઇકોનિક રસ્તાના નામે જનતા સાથે થઈ રહેલી છેતરપિંડી જેવા મુદ્દાઓ પર આક્રમક રજૂઆત કરવાનું નક્કી કરાયું હતું. ખાસ કરીને યુવા પેઢીને બરબાદ કરી રહેલા દારૂ અને ડ્રગ્સના દૂષણ સામે સમાજને જાગૃત કરવા આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આપનો હાથ, કોંગ્રેસનો સાથ અને દેશ બચાવો, કોંગ્રેસ લાવોના સૂત્ર સાથે આયોજિત આ કાર્યક્રમમાં તમામ સમાજના આગેવાનો, કાર્યકરો, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રહિતમાં જોડાવવા માંગતા હોય તેઓને સ્થળ પર જ 200 લોકોને પ્રાથમિક સભ્યપદ અપાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ નૌશાદભાઇ સોલંકી, ઋત્વીકભાઇ મકવાણા, વિક્રમભાઇ રબારી, શહેર પ્રમુખ મહેન્દ્રભાઇ પરમાર સહિત ઉપસ્થિત રહ્યા હતા.
ગામ ગામની વાત:ચોટીલાનું નાના પાળીયાદ પશુપાલન, ખેતી થકી આત્મનિર્ભરતા તરફ પ્રયાણ
સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલાથી માત્ર 4 કિલોમીટરના અંતરે ચામુંડા માતાજીના ડુંગરની તળેટીમાં વસેલું નાના પાળીયાદ ગામ આજે પ્રગતિશીલ ગ્રામીણ જીવનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. મુખ્યત્વે ભરવાડ અને કોળી પટેલ સમાજની વસ્તી ધરાવતું આ ગામ આધુનિક સુવિધાઓ અને પરંપરાગત વ્યવસાયોના સંગમ સાથે આત્મનિર્ભર બન્યું છે. 1400થી વધુ વસ્તી ધરાવતા નાના પાળીયાદ ગામમાં સામાજિક સમરસતા અને ધાર્મિક આસ્થાના દર્શન થાય છે. ચોટીલાના ભાગોળે ચામુંડા માતાજી ડુંગરની પાસે ચોટીલાથી 4 કિલોમીટર દૂર નાના પાળીયાદ ગામ આવેલું છે. નાના પાળીયાદ ગામમાં ભરવાડ અને કોળી પટેલ લોકો વસવાટ કરે છે. ગામની કુલ અંદાજિત વસ્તી 1400થી વધારે છે. ગામમાં મતદારયાદી પ્રમાણે 515 પુરુષ, 465 મહિલા નોંધાયેલા છે. ધાર્મિક તહેવારોમાં ગામ લોકો ઉત્સવ હળીમળીને ઉજવે છે. નાના પાળીયાદ ગામ લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેત મજૂરી અને પશુપાલન સાથે સંકળાયેલા છે. ખેતીમાં કપાસ, મગફળી, ઘઉં, બાજરી, જુવાર, ડુંગરી અને શાકભાજી જેવા રોકડિયા પાકો લેવામાં આવે છે. નાના પાળીયાદ ગામમાં ઠાકર મંદિર, ચરમારીયા દાદાનું મંદિર ગામ લોકોના આસ્થાના મંદિર છે. નાના પાળીયાદ ગામમાં ખેતી સાથે પશુપાલન સાથે સંકળાયેલા છે. ગામમાં 1,000થી વધારે પશુઓની સંખ્યા ધરાવે છે. તે દૂધ મંડળીમાં દૂધ આપીને આજીવિકા મેળવે છે. નાના પાળીયાદ ગામમાં પ્રાથમિક શાળામાં 1થી 8 ધોરણ સુધી 100 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને વધુ અભ્યાસ અર્થે ચોટીલા જવું પડે છે. નાનાપાળિયાદ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા પાકા રસ્તા બનાવવામાં આવ્યા છે. ગ્રામ પંચાયત દ્વારા દરરોજ પાણી વિતરણ કરવામાં આવે છે. ગામ લોકો માટે બેંક ઓફ બરોડાના બીસી પોઇન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી ગામ લોકોને બેંકને લગતી કામગીરી ગામમાં બેંકની સુવિધા મળી રહે છે. ગ્રામ પંચાયત દ્વારા તળેટી વિસ્તારમાં ગામ લોકોને જગ્યા ભાડે આપેલી છેનાના પાળીયાદ ગામ વિસ્તારમાં ચામુંડા માતાજી ડુંગર અને તળેટી આવેલા છે અને ગ્રામ પંચાયત દ્વારા ગામ લોકોને તળેટી વિસ્તારમાં જગ્યા ભાડે આપીને ગામ લોકો દ્વારા તળેટી વિસ્તારમાં નારીયેર, પ્રસાદ, કટલરી, રમકડા વગેરે વિવિધ કામ ધંધા કરીને આવક ઉભી કરવામાં આવે છે. પાળીયાદથી ચોટીલા રોડ બનાવવા માંગચોટીલા તાલુકાના નાના પાળીયાદ ગામલોકો દ્વારા જણાવતા નાના પાળીયાદથી ચોટીલાનો રસ્તો બિસમાર હાલતમાં છે. તંત્ર દ્વારા રસ્તો બનાવવામાં આવે તેવી ગામ લોકોને લોક માંગણી છે. નાના પાળીયાદ વિસ્તારમાં ચોટીલાની બીએસએનએલ ઓફિસ વન વિભાગની ઓફિસ બીઆરસી ભવન અને આઈટીઆઈમાં આવેલા છે.
સમસ્યા:જિલ્લા પંચાયતના વિકાસ કામોમાં થઇ રહેલો વિલંબ
ગાંધીનગર જિલ્લા પંચાયત દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં મંજૂર કરાયેલા વિકાસ કામોમાં ગંભીર વિલંબ સામે આવ્યો છે, જેને લઈને કામગીરીની અસરકારકતા પર પ્રશ્નો ઊભા થયા છે. વર્ષ 2023 થી 2026 દરમિયાન જિલ્લા પંચાયતે કુલ 458 વિકાસ કામોને મંજૂરી આપી હતી. પરંતુ તેમાંમાંથી અત્યાર સુધી માત્ર 242 કામો પૂર્ણ થયા છે, એટલે કે લગભગ 53 ટકા કામો જ પૂર્ણ થઈ શક્યા છે. તેમાં પણ ચિંતાજનક બાબત એ છે કે પૂર્ણ થયેલા કામોમાંથી માત્ર 17 કામો જ નક્કી કરેલા સમયમર્યાદામાં પૂર્ણ થયા છે. બાકી રહેલા કામોની સ્થિતિ વધુ ચિંતાજનક છે. 115 કામો હજુ સુધી બાકી છે અને તેમની સમયમર્યાદા પણ પસાર થઈ ગઈ છે. જ્યારે 68 કામોનું કામ તાજેતરમાં જ શરૂ થયું છે. ઉપરાંત 16 કામોમાં ફેરફાર કરવામાં આવ્યા છે અથવા તેને રદ કરવામાં આવ્યા છે. વર્ષવાર આંકડાઓ જોતા કામગીરીમાં મોટો ઘટાડો દેખાય છે. વર્ષ 2023-24 દરમિયાન પંચાયતે 250 કામોને મંજૂરી આપી હતી અને તેમાંમાંથી 204 કામો પૂર્ણ કરવામાં સફળતા મેળવી હતી, જે લગભગ 82 ટકા પૂર્ણતા દર દર્શાવે છે. પરંતુ ત્યારબાદના વર્ષોમાં સ્થિતિ ઝડપથી બગડી ગઈ છે. વર્ષ 2024-25 દરમિયાન 101 કામોને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ તેમાંમાંથી માત્ર 32 કામો પૂર્ણ થઈ શક્યા હતા. હાલના વર્ષ 2025-26 માં તો સ્થિતિ વધુ ખરાબ રહી છે.
7 વર્ષ બાદ ફરી ‘ટિફિન બેઠક’નો દોર શરૂ:મનપા ચૂંટણી પહેલાં ભાજપનું કાર્યકર્તા સંપર્ક અભિયાન તેજ
ગાંધીનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેર ભાજપ દ્વારા સંગઠનાત્મક ગતિવિધિઓ તેજ બનાવવામાં આવી છે. લાંબા સમય બાદ ફરી એકવાર શહેરના તમામ 11 વોર્ડમાં ‘ટિફિન બેઠક’ યોજવાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આગામી એક અઠવાડિયામાં તમામ વોર્ડમાં આ બેઠકો પૂર્ણ કરવાની યોજના બનાવવામાં આવી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના આહ્વાન પર શહેર ભાજપ અધ્યક્ષ ડૉ. આશિષ દવેના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ શરૂ થયો છે. મનપાની ચૂંટણી નજીક આવી રહી હોય ત્યારે કાર્યકર્તાઓ સાથે સીધો સંપર્ક વધારવો અને સંગઠનને પાયાના સ્તરે સક્રિય બનાવવો એ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ માનવામાં આવે છે. શહેર ભાજપા અધ્યક્ષ ડૉ. આશિષ દવેએ જણાવ્યું હતું કે, ભાજપની કાર્યપદ્ધતિમાં ટિફિન બેઠક માત્ર ભોજનનો કાર્યક્રમ નથી, પરંતુ કાર્યકર્તાઓ વચ્ચે આત્મીયતા, સંવાદિતા અને પારિવારિક ભાવના વધારવાનું મહત્વનું માધ્યમ છે. આવી બેઠકોમાં પક્ષની વિચારધારા, આવનારા કાર્યક્રમો તેમજ સંગઠનાત્મક મુદ્દાઓ અંગે ચર્ચા થતી હોવાથી છેવાડાના કાર્યકર્તા સુધી સંદેશ સરળતાથી પહોંચે છે. ટૂંકમાં, ટિફિન બેઠક સંગઠનને વધુ સક્રિય, જીવંત અને શક્તિશાળી બનાવવાનું એક અસરકારક સાધન છે. તાજેતરમાં સેક્ટર-22 વિસ્તારમાં મહાનગરના મુખ્ય હોદ્દેદારોની ટિફિન બેઠક યોજાયા બાદ વોર્ડ સ્તરે બેઠકોનો દોર શરૂ થયો છે. અત્યાર સુધી વોર્ડ નં. 3, 6 અને 8માં બેઠકો પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે બાકીના વોર્ડોમાં પણ આગામી દિવસોમાં આ કાર્યક્રમ યોજાશે. રાજકીય વર્તુળોમાં માનવામાં આવે છે કે મનપાની ચૂંટણી પહેલાં ભાજપ સંગઠનને વધુ ગોઠવાયેલું બનાવવા અને કાર્યકર્તાઓ સાથે સીધો સંપર્ક મજબૂત કરવા માટે આ અભિયાન શરૂ કર્યું છે. નોંધનીય છે કે શહેરમાં છેલ્લે લગભગ સાત વર્ષ પહેલાં આ પ્રકારની ટિફિન બેઠકો યોજાઈ હતી અને હવે ફરી શરૂ કરાતા રાજકીય ગરમાવો વધ્યો છે.
ગાંધીનગર શહેરમાં વસ્તી અને વિસ્તાર વધ્યા બાદ ટ્રાફિક અને વાહન પાર્કિંગની સમસ્યા વ્યાપક બની છે. આ સ્થિતિ નિવારવા માટે અને રસ્તા પર ઉભા રહેતા લારી- ગલ્લાના દબાણોને યોગ્ય રીતે એક સ્થળે ઉભા રાખી શકાય તે માટે પાર્કિંગ અને સ્ટ્રીટ વેન્ડરો માટેના સ્થળો નિયત કરવા માટે મહાનગરપાલિકા દ્વારા પાર્કિંગ અને સ્ટ્રીટ વેન્ડર પોલિસી તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. 2022માં આ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. પરંતુ ચાર વર્ષના અંતે પણ હજુ સુધી આ પોલિસીનો માસ્ટર પ્લાન તૈયાર થઇ શક્યો નથી. આ એજન્સીની મુદ્દત વધારવા માટેની દરખાસ્ત કમિશનર તરફથી મોકલાતા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા હવે માત્ર અઠવાડીયાનો સમય આપવામાં આવ્યો છે અને માત્ર પેપર વર્ક નહીં લોકેશન સાથે ક્યા સ્થળે કેવા પ્રકારની પાર્કિંગ સુવિધા ઉભી કરી શકાય અને સ્ટ્રીટ વેન્ડરો માટે શું વ્યવસ્થા ગોઠવી શકાય તે સહિતની તમામ બાબતો અસરકારક રીતે દર્શાવીને ચોક્કસ પ્લાનીંગ આપવા તાકીદ કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીએ આ પોલીસીના માસ્ટર પ્લાન માટે મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ અને એસ્ટેટ શાખા તેમજ ઇજનેરી શાખાના અધિકારીઓને પણ સ્થળ તપાસ કરીને ચોક્કસ તેમજ અસરકારક કામગીરી કરવા સૂચના આપી છે. મહાનગરપાલિકા દ્વારા પાર્કિંગ અને સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો ડ્રાફ્ટ 20023માં જાહેર કરીને નાગરિકોના મંતવ્યો, વાંધા- સૂચનો મંગાવ્યા હતા પરંતુ તે પછી કોઇ પ્રક્રિયા થઇ ન હતી. બીજીતરફ એજન્સીને પોલીસીમાં વધુ ચોક્કસ કામગીરી કરવા કહેવાયું હતું પણ તેના ત્રણ વર્ષ બાદ પણ અસરકારક પોલીસી તૈયાર થઇ શકી નથી. માત્ર સ્થળ જ નહીં, વિકલ્પો પણ માગવામાં આવ્યાસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસે કહ્યું કે એજન્સીના પ્લાનમાં ચોક્કસ ક્યા પ્લોટ, ક્યા સ્થળો, કેટલા વાહનો માટે પાર્કિંગ થશે તેની સાથે વિકલ્પો પણ માંગવામાં આવ્યા છે. સ્ટ્રીટ વેન્ડરો કેટલા છે અને તેમના માટે પાત્રતા કેટલી રાખવી, ક્યા વિસ્તારમાં જગ્યા આપી શકાય તેનો પણ સરવે કરી માહિતી આપવા કહેવાયું છે. અત્યારસુધીમાં ઘણો સમય વ્યતિત થયો હોવાથી હવે માત્ર એક અઠવાડિયામાં તમામ કામગીરી પૂર્ણ કરવા કહેવાયું છે. બેઝમેન્ટ ખોલવા બિલ્ડરો- સંચાલકો સાથે બેઠકો યોજાશેએજન્સીના સરવેમાં જણાયું છે કે કોમ્પ્લેક્સના બેઝમેન્ટ ખાલી રહેવાથી રોડ પર પાર્કિંગ થાય છે. જેથી બેઝમેન્ટના સંચાલકો, વેપારી એસોસિએશન સાથે બેઠકો યોજીને બેઝમેન્ટમાં મહત્તમ પાર્કિંગ થાય તેની વ્યવસ્થા ગોઠવવા પણ સૂચના અપાઇ છે. વેલે પાર્કિંગની વ્યવસ્થા માટે પણ સમજાવાશે.
બેઠકોનું અંતિમ સીમાંકન જાહેર:ચૂંટણી આયોગે જિ.પંચાયતની બેઠકોની ફાળવણી યથાવત્ રાખી
રાજ્ય ચૂંટણી આયોગે જિલ્લા પંચાયતની 28 બેઠકોના સીમાંકનનો અંતિમ આદેશ આપી દીધો છે. માણસા તાલુકાની બેઠકો બાબતે મળેલા વાંધાઓ છતાં પ્રાથમિક આદેશમાં કોઈ બદલાવ કરાયો નથી. આ સાથે કલોલ નગરપાલિકાના 11 વોર્ડ અને તાલુકા પંચાયતની બેઠકોનું રોટેશન પણ સ્પષ્ટ કરી દેવાયું છે. ચૂંટણી આયોગના આખરી આદેશ મુજબ જિલ્લા પંચાયતની બેઠકોની ફાળવણી નક્કી થઈ છે. તાલુકામાં અડાલજ, ઉવારસદ સામાન્ય સ્ત્રી, જ્યારે છાલા, ચિલોડા, ડભોડા પછાત વર્ગ માટે ફાળવાઈ છે. સાદરા, વલાદ સામાન્ય અને સરઢવ એસસી બેઠક રહેશે. કલોલ તાલુકાની ભોંયણમોટી, પલીયડ, શેરીસા સામાન્ય સ્ત્રી, જ્યારે પાનસર, સાંતેજ સામાન્ય અને છત્રાલ એસસી સ્ત્રી બેઠક બની છે. માણસામાં બિલોદરા, ચરાડા, મહુડી સ્ત્રી અનામત અને લોદરા, સમૌ, સોજા સામાન્ય રહેશે. દહેગામમાં રખિયાલ એસટી બેઠક છે, જ્યારે અન્ય બેઠકો ઓબીસી અને સામાન્ય વર્ગમાં વહેંચાઈ છે. કલોલ નગરપાલિકાના 11 વોર્ડમાં દરેક બીજી બેઠક સ્ત્રી અનામત અને ચોથી બેઠક સામાન્ય રહેશે.
કોમી એકતાની અનોખી મિસાલ:વઢવાણમાં 26 વર્ષથી ચા પીવડાવી મુસ્લિમ બિરાદરોને રોઝા છોડાવતા હિન્દુ યુવાન
સુરેન્દ્રનગરના વઢવાણ શહેરમાંથી કોમી એખલાસનું એક અદભૂત ઉદાહરણ સામે આવ્યું છે. અહીં એક હિન્દુ યુવાન છેલ્લા 26 વર્ષથી પવિત્ર રમઝાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદરોને રોઝા છોડાવવા માટે ચાની સેવા આપી રહ્યો છે. વઢવાણ શહેરમાં કોમી એકતાનું સુંદર ઉદાહરણ જોવા મળી રહ્યું છે. છેલ્લા લગભગ 26 વર્ષથી એક હિંદુ યુવાન રમઝાન મહિનામાં મુસ્લિમ સમાજના લોકો માટે ચા પીવડાવવાની સેવા કરી રહ્યો છે. રમઝાન દરમિયાન નમાઝ બાદ રોજા ખોલવા આવતા મુસ્લિમ ભાઈઓને આ યુવાન પોતાની તરફથી ચા પીવડાવી માનવતાનું અનોખું ઉદાહરણ મનોજ ભાઈ પરમાર પૂરું પાડે છે.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ સેવા મનોજભાઈ પરમાર 26 વર્ષોથી સતત ચાલી રહી છે. કોઈપણ પ્રકારના ભેદભાવ વગર સમાજના લોકો વચ્ચે પ્રેમ અને ભાઈચારો વધે તે માટે આ પ્રયાસ કરવામાં આવે છે. આ કાર્યને કારણે વઢવાણ શહેરમાં ધાર્મિક સૌહાર્દ અને કોમી એકતાનો સંદેશ ફેલાઈ રહ્યો છે. આ સેવાકાર્ય વિશે ઇમરાનભાઇ, રમઝાનભાઇ, હનીફભાઇ સહિત લોકો કહે છે કે આજના સમયમાં જ્યારે સમાજમાં નાના મુદ્દાઓને લઈને મતભેદ ઊભા થાય છે ત્યારે આવી પહેલ માનવતાની સાચી ઓળખ આપે છે.
ઐતિહાસિક નિર્ણય:નાડોદા રાજપૂત સમાજનું ભવ્ય શૈક્ષણિક સંકુલ અંદાજે રૂ. 50 કરોડનો ખર્ચે બનશે
ક્ષત્રિય નાડોદા રાજપૂત સમાજના યુવાનોના શૈક્ષણિક ઉત્કર્ષ માટે સુરેન્દ્રનગર ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. અમદાવાદ-ગાંધીનગર હાઈવે રોડની નજીક અંદાજે રૂ. 50 કરોડના ખર્ચે અત્યાધુનિક છાત્રાલય અને શૈક્ષણિક સંકુલ બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે સુરેન્દ્રનગર પંથકના 36 ગામના આગેવાનોએ એકસૂરે સહમતી દર્શાવી ભવિષ્યની પેઢી માટે મજબૂત પાયો નાખવાની તૈયારી દર્શાવી છે. સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ પર આવેલી નાડોદા રાજપુત સમાજની બોર્ડિંગ ખાતે તા.14-3-2026ને શનિવારે મીટીંગ યોજાઇ હતી. ક્ષત્રિય નાડોદા રાજપુત સમાજની છાત્રાલય માટે વિસ્તારના 36 ગામના આગેવાનોની મીટીંગ શ્રીજીસ્વામીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં અખીલ ગુજરાત નાદોડા રાજપુત સમાજના પ્રમુખ હિંમતસિંહ કટારીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મીટીંગમાં અખીલ ગુજરાત નાદોડા રાજપુત છાત્રાલય માટે અમદાવાદથી ગાંધીનગર હાઇવે રોડ નજીક છાત્રાલય માટે જમીન લેવા માટેની ચર્ચા થઇ હતી. જેમાં તમામ આગેવાનો દ્વારા છાત્રાલય માટે વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી અને ઉત્સાહભેર આ વિચારને વધાવ્યો હતો. આ મીટીંગમાં દાનની સરવાણી ચાલુ થઇ ગઇ હતી. આ પ્રોજેકટ રૂ. 50 કરોડના હોય તેમાંથી અદ્યતન શૈક્ષણિક સંકુલ બનાવવા માટેની વાત થઇ હતી.
મંડે પોઝિટીવ:ઝાલાવાડની જમીનનો હેલ્થ રિપોર્ટ આ વર્ષે સર્વાધિક 20,230 કાર્ડ ઇશ્યૂ
ઝાલાવાડમાં આ વર્ષે 578 ગામમાંથી 20,230 સ્થળેથી માટીના નમુના એકત્ર કરી રિપોર્ટના આધારે હેલ્થ કાર્ડ ઇશ્યૂ કરાયા છે. આ આંકડામાં ગત વર્ષ કરતાં 8 હજારનો વધારો થયો છે. જમીનમાં રાસાયણિક ખાતરના આડેધડ ઉપયોગથી ફળદ્વુપતાને અસર થઇ રહી છે. તેવામાં જિલ્લાના ખેડૂતોને પોતાની જમીનના પોષક તત્વો અંગે જાણકારી મળી રહે અને જમીનની ફળદ્રુપતા પણ જળવાય તે હેતુથી જમીન ચકાસણી માટેના નમુના લેવાયા હતા. જમીન ચકાસણી પ્રયોગ શાળાના લેબ અધિકારી મુસ્તુફા વેકરીયાએ જણાવ્યું કે જિલ્લાના દરેક ગામોના સેમ્પલ લેવાયા હતા, જેમાં ખેતરમાં ૧૫ સેમી ખાડો કરી જમીનનું તળ કાઢી નમૂના લેવાય છે. જેના હેલ્થ કાર્ડ આવતા ૨૦,૨૩૦ સોઈલ હેલ્થ કાર્ડ ઇશ્યુ કરી ૧૦૦% કામગીરી કરાઈ રહી છે. તાલુકાવાર નમૂનાઓનું પરીક્ષણ: દસાડા તાલુકો ૩૧૧૫ નમૂનાઓના પરીક્ષણ સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમે રહ્યો છે. હેલ્થકાર્ડ એટલે જમીનનો એક્સરે, સિટી સ્કેનહેલ્થ કાર્ડમાં જમીનમાં 15 સેમીનો ખાડો કરી જમીનમાં ઉપલબ્ધ 12 પોષકતત્વો, ગૌણતત્વો અને સુક્ષ્મ તત્વોના પ્રમાણનો ખ્યાલ આવે છે. જમીન વિદ્યુત વાહકતા અને પીએચ હાઇડ્રોજન આયનની સાંદ્રતા, અગાઉ કયો પાક લીધો સેન્દ્રીય, રાસાયણીક ખાતરો, કેટલાસુક્ષ્મ તત્વો આપવા તેની ભલામણો દર્શાવી હોય છે. જેનાથી ખાતરનો બિનજરૂરી ઉપયોગ અટકે, પાકઉત્પાદન ખર્ચ ઘટે પોષક તત્વોના સમતોલ ઉપયોગથી ટકાઉ ખેતી થાય છે. ખાતર વપરાશમાં 8થી 10 ટકાનો ઘટાડોઅમો જીરૂ, કપાસ, ઘઉં સહિત પાકોનુ વાવેતર કરીએ છીએ સોઇલ હેલ્થ કાર્ડ કઢાવવાથી આધારે સંતુલિત ખાતર વ્યવસ્થાપન કરવાથી ઉત્પાદનમાં ફેરફાર આવ્યો છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવાને કારણે પાક ઉત્પાદનમાં અંદાજે 10થી 20% સુધીનો વધારો થઈ શકે છે. ખાતરના વપરાશમાં ઘટાડો થવાથી ખેતીના કુલ ખર્ચમાં 8% થી 10% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. > રાજભા ઝાલા, વઢવાણ
સુરેન્દ્રનગરમાં ફરી તસ્કર ટોળકી સક્રિય બની છે. ઉમિયા ટાઉનશીણ-1ની શેરી નં.6/બીમાં તસ્કરોએ 2 કલાકમાં 3 મકાનને નીશાન બનાવી બાઇક, રોકડ રકમ સહિત રૂ.4.84,600ની ચોરી થતાં સિટી બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ છે. સોસાયટીના સીસીટીવીમાં 4 શખસો કેદ થયા છે. પોલીસે ડોગસ્કવોડ, એફએસએલની મદદથી કાર્યવાહી હાથ ધરી છે. મૂળ વઢવાણ તાલુકાના વાડલા ગામના અને હાલ સુરેન્દ્રનગર નવા 80 ફૂટ રોડ, ઉમિયા ટાઉનશીપ-1, શેરી નં.6/બીમાં રહેતા તેમજ કન્ટ્રકશનનું કામ કરતા 29 વર્ષના ભરતભાઈ કરશનભાઇ પરમારે સિટી બીડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યુ કે, 4 અજાણ્યા શખસો ભેગા મળી મારા બંધ મકાનના દરવાજાના તાળા નકુચા તોડી મકાનમાં પ્રવેશ કરી કબાટ તથા પેટી પલંગમાં રહેલા કુલ રોકડ રૂ. 2,10,000, સોનાના દાગીના કિંમત રૂ. 1,80,000 વજન અંદાજે 36.64, તથા ચાંદીના દાગીના રૂ. 26,600ની કિંમતના વજન અંદાજે 492 ગ્રામની ચોરી કરી હતી. આ ઉપરાંત તેમની શેરીમાં રહેતા વાલજીભાઈના ઘરેથી રૂ. 40,000ની કિંમતનું બાઇક તેમજ શિલ્પાબેનના મકાનમાંથી રોકડા રૂ. 25,000 સહિત કુલ રૂ.4,84,600ના મુદામાલની ચોરી કરી લઇ ગયા હતા. બનાવમાં 4 અજાણ્યા શખસ, તપાસમાં ખૂલે તે તમામ સામે ગુનો નોંધી PSI એમ.એચ. પઠાણ તપાસ ચલાવે છે. બનાવના મૂળ સુધી પહોંચવા ડોગ સ્કવોર્ડ, ફિન્ગર પ્રિન્ટ સહિતની તપાસનો પોલીસ ઘટના બની તે શેરીથી પાછળની શેરી સુધી અડધે ગયુ હોવાની પ્રાથમિક વિગતો મળી છે. પોલીસ પેટ્રોલીંગના કલાક બાદ તસ્કરો ઘૂસ્યા સુરેન્દ્રનગરમાં પેટ્રોલિંગ રાત્રિના સમયે નિમયિત હોય છે. મકાન માલિકના ભાઇ રાત્રે સવા એક વાગ્યાના સમયે ઘર આવતાં પેટ્રોલીંગની કાર મળી હતી. જ્યારે રાત્રિના 2 વાગે સીસીટીવીમાં 4 શખસો સોસાયટીમાં ફરતા દેખાય છે. બીજુ કે 3 કિમી દૂર બી-ડિવિઝન પોલીસ મથક પણ આવેલું છે. દીકરાનો જન્મ થતાં વતન રહેવા ગયા હતા મારા પત્નીને 18 દિવસ પહેલા દીકરાનો જન્મ થયો હતો. અહીં સુરેન્દ્રનગર ખાતે તેની કોઇ દેખરેખ વાળુ ન હોય મારી પત્ની વતન વાડલા ગામે હતા. હુ રોજ મારા કામ ધંધા માટે સુરેન્દ્રનગર આવતો અને સાંજે વાડલા જતો રહેતો હતો. મારી આટલી ઉંમરની કમાયેલી રોકડ, સોના-ચાંદીના ઘરેણા સહિતની મૂડી ચોરાઇ ગઇ છે. > ભરતભાઈ કરશનભાઇ પરમાર, ભોગ બનનાર
ગામ ગામની વાત:ગંદા પાણીનું ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી શુદ્ધિકરણ કરતું ગામ એટલે નવલપુર
તલોદના નવલપુર ગામની લોકભાગીદારીથી ગામની કાયાપલટ કરી દેવાઈ છે. સરપંચ, પંચાયત અને ગામલોકો મળીને સરકારની વિવિધ યોજનાઓને લોકભાગીદારીથી ગામમાં અમલમાં મૂકી વોટર કન્ઝર્વેશન, એનર્જી કન્ઝર્વેશન, સ્વચ્છતા, ઓ.ડી.એફ. ગ્રીન રેવોલ્યુશન, વેસ્ટ મેનેજમેન્ટ, સી.એસ.સી. વગેરે કાર્ય ઉપર સફળતાપૂર્વક કામ કર્યું છે. લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ અંતર્ગત ગામમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ ઉપલબ્ધ કરાવી ગટરના તમામ પાણીને ગ્રેવીટી બેઝડ ગ્રેવ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા શુદ્ધ કરી રિચાર્જ અને રિયુઝ કરાય છે. આ પ્લાન્ટમાં કોઈ વીજળીનો વપરાશ થતો નથી જેને દેશનો પ્રથમ મોડેલ પ્લાન્ટ છે. કામની દેખરેખ અને તેના નિભાવ અને વ્યવસ્થાપન માટે વિલેજ મેનેજમેન્ટ કમિટિઓ બનાવાઈ છે. જેમાં એક કન્વીનર અને ચાર સભ્યો છે. આ કમિટિઓમાં જે તે ક્ષેત્રના નિષ્ણાંત લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગામમાં 150 જેટલા મકાન આવેલા છે. આ ગામમાં 90 ટકા જેટલા મકાનમાં સરકારની રૂફટોપ યોજનાનો લાભ લઇને સોલાર પેનલ લગાવાઇ છે. એકંદરે 100 ટકા સોલાર એનર્જીનો ઉપયોગ કરતું ગામ બની ગયું છે.ગામની અંદર 100 ટકા ભૂગર્ભ ગટર વ્યવસ્થા કરાઇ છે. આ ગંદા પાણીને રિસાયકલ કરીને તેમાંથી ખાતર બનાવવા ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપ્યો છે. ગામમાં નળ સે જળની યોજના થકી દરેક ઘરમાં નળ લગાવાયા છે. ગામમાં સરદાર પટેલ જળ સંચય યોજના અંતર્ગત 10 થી વધારે ચેકડેમ બનાવાય છે. ગ્રે વોટર ટ્રીટમેન્ટથી હાલમાં ગામમાં રોજનું 200 કેએલબી ગંદુ પાણી શુદ્ધ કરાય છે. ગામના તળાવમાં વરસાદના વહી જતાં પાણીનો સંગ્રહ કરીને તેની આસપાસ વોકવે, તળાવની વચ્ચે સરદાર પટેલનું સ્ટેચ્યુ, તળાવમાં લાઇટીંગ અને સ્ટેજ બનાવી વેડીંગ ડેસ્ટીનેશન ઉભુ કરાયું છે. સાથે સાથે તળાવમાં બોટીંગ પણ શરૂ કરાયું છે. તળાવના કિનારે ડિઝિટલ લાઈબ્રેરી બનાવાઇ રહી છે. ગામમાં દરેક ઘરે ડસ્ટબિનની ફાળવણી કરાઇતમામ ઘરોમાં વ્યક્તિગત શૌચાલય સુવિધા ઉપલબ્ધ કરાવી ગામને ખુલ્લામાં શૌચ મુક્ત જાહેર કરાયું છે. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા દરેક ઘરે ડસ્ટબિન ફાળવાઇ છે. ડોર ટુ ડોર કલેક્શન માટે ઈ-રિક્ષા દ્વારા કચરાનું કલેક્શન કરાય છે અને સેગ્રીગેશન રોડ સુધી પહોંચાડાય છે. ગામની વિગત
આશીયાના સોસાયટીમાં એસઓજી ટીમના દરોડા:મોડાસા શહેરમાં ગેરકાયદે ગેસ રિફિલીંગ કરતો શખ્સ ઝડપાયો
મોડાસામાં ડુઘરવાડા રોડ પર આવેલ સોસાયટીમાં ગેરકાયદે ગેસ રિફિલીંગ કરતાં શખ્સને એસઓજીએ પકડી 8400ની મત્તા જપ્ત કરી હતી. ડુઘરવાડા રોડ પર આવેલી આશીયાના સોસાયટીમાં SOGએ બાતમી આધારે દરોડો પાડી સાબીરહુસેન મુસાભાઇ સુથાર નામનો શખ્સ કોઈ પણ જાતની ફાયર સેફ્ટી વગર ગેરકાયદેસર રીતે ગેસ રિફિલીંગ કરતાં ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કાર્યવાહી દરમિયાન ગેસની 2 બોટલો અને ગેસ ટ્રાન્સફર કરવાની 1 મોટર સહિત 8,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપી પાસે ગેસ રિફિલીંગનો કોઈ પરવાનો ન હોવાથી તેની વિરુદ્ધ BNS 2023 ની કલમ 287, 288 અને 125 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નોંધનીય છે કે 2 દિવસમાં એસઓજીએ આ પ્રકારનો કેસ કર્યો છે.
હિંમતનગરના ભોલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં હાથમતી નદી કિનારે આવેલ જર્જરિત સ્મશાનની 50 લાખના ખર્ચે કાયાપલટ થવા જઇ રહી છે. સ્મશાનમાં નવી સગડીઓ સહિત ગેસ અથવા ઇલેક્ટ્રિક ચેમ્બરની સુવિધા ઉભી કરાશે. ભોલેશ્વર મહાદેવ મંદિર નજીક હાથમતી નદી કિનારે આવેલ સ્મશાન જર્જરિત સ્થિતિમાં છે. કમ્પાઉન્ડ વોલ કે અન્ય સુવિધાઓનો અભાવ છે. તા. 1-10-24ના પત્રથી રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે આયોજન અધિકારીને સ્મશાન ફરતે કંપાઉન્ડ વોલ બનાવવા 3 લાખ વિકાસ ગ્રાન્ટ 1 ફાળવ્યાની જાણ કરી હતી. દરમિયાનમાં શહેરના આજુબાજુના વિસ્તારોનો પાલિકામાં સમાવેશ થવાને લઇ પાલિકા દ્વારા ભોલેશ્વરના જર્જરિત સ્મશાનને અપગ્રેડ કરવા નિર્ણય લેવાયો હતો. પાલિકા ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ જણાવ્યું કે ભોલેશ્વરના સ્મશાનને સુવિધા સજજ કરવા તાજેતરની સામાન્ય સભામાં ચર્ચા કરી નિર્ણય લેવાયો છે. સ્મશાનની ફરતે કમ્પાઉન્ડ વોલ, નવું ઇન્ફ્રાસ્ટ્રકચર સગડીઓ સહિત ઉભુ કરાશે. ગેસ અથવા ઇલેક્ટ્રિક ચેમ્બર બંને માંથી એક માટે વિચારાઇ રહ્યું છે. તેને આનુસંગિક પ્રક્રિયા હાથ ધરાઇ છે. અંદાજે 50 લાખના ખર્ચે સ્મશાન સુધી પહોંચવાના રસ્તા સહિત નવું ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવા તજવીજ હાથ ધરાઇ છે. સ્થાનિક કુમારભાઇ ભાટે જણાવ્યું કે લાંબા સમયથી આ સ્મશાનને અપગ્રેડ કરવા માંગ થઇ રહી હતી. પાલિકા દ્વારા ઝડપથી આ પ્રોજેક્ટ પૂરો કરવામાં આવે.
ચોરીનો મામલો આવ્યો સામે:સરકારી બોરનો 25 મીટર કેબલ ચોરાયો
પાલનપુર તાલુકાના મોટા ગામે સરકારી પાણીના બોર પરથી ઇલેક્ટ્રિક કેબલ વાયર ચોરી થવાની ઘટના ફરી એકવાર સામે આવી છે. શખ્સોએ રાત્રે બોરથી ઓરડી સુધીનો આશરે 25 મીટર વાયર કાપીને લઈ જતા પાણી પુરવઠા પર અસર પડી છે.નોંધનીય છે કે એક અઠવાડિયામાં આવી બીજી ઘટના બનતા ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ છે. પાલનપુર તાલુકાના મોટા ગામે સરસ્વતી સ્કૂલની બાજુમાં આવેલા સરકારી બોરના બોર ઓપરેટર કરણસિંહ પ્રતાપસિંહ પરમારે શનિવારની સાંજે 7 વાગ્યાની આસપાસ બોર બંદ કરીને ઘરે ગયા બાદ રવિવારની સવારે 7 વાગ્યા ફરજ પર આવીને જોતા પાણીના બોરથી ઇલેક્ટ્રિક ઓરડી સુધીનો આશરે 25 મીટર લાંબો 25 એમ.એમ.નો રૂ.20 હજારનો કેબલ વાયર જોવા મળ્યો ન હતો. જેથી બોર ઓપરેટરે મોટા ગ્રામ પંચાયતના સરપંચ ભરતસિંહ ભુપતસિંહ રાજપુતને જાણ કરતા તેઓ અમરસિંહ તખતસિંહ પરમાર અને રણજિતસિંહ તખતસિંહ પરમાર સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. તપાસ કરતા બોરથી ઓરડી સુધીનો આખો કેબલ વાયર ચોરાઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.જેથી સરપંચ ભરતસિંહ ભુપતસિંહ રાજપૂતે રવિવારે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ગામ ગામની વાત:નાળાસરમાં ધરોઆઠમે મહિલાઓ ઘાસ કાપતી નથી
પાલનપુર તાલુકાના નાળાસર ગામમાં ધરો આઠમના પર્વે શ્રદ્ધાનો અનોખો નજારો જોવા મળ્યો છે. પેઢીઓ જૂની પરંપરાને વળગી રહીને આજે પણ ગામની મહિલાઓ ઘાસ કાપતી નથી. આ પવિત્ર દિવસે ખેતરમાં જઈને ઘાસ કાપવાની તમામ જવાબદારી માત્ર પુરુષો જ નિભાવે છે. આ અનોખા રિવાજ સાથે ગ્રામજનોએ નજીકના વાસડા ગામે બિરાજમાન ધારમાતાના મંદિરે પલ્લી ભરીને ધન્યતા અનુભવે છે. પાલનપુર તાલુકાના નળાસર ગામમાં ધરો આઠમના દિવસે મહિલાઓ માટે એક ખાસ નિયમ પાળવામાં આવે છે. પરંપરા મુજબ, આ દિવસે મહિલાઓ લોખંડનું દાતરડું પકડીને ઘાસ કાપી શકતી નથી. પશુઓ માટે ચારાની વ્યવસ્થા માત્ર પુરુષો જ કરે છે. ગ્રામજનો માને છે કે આ પરંપરા જાળવવાથી ગામ પર કોઈ આફત આવતી નથી અને પશુધન સુરક્ષિત રહે છે. ધરો આઠમના દિવસે નળાસરના ગ્રામજનો મોટી સંખ્યામાં પાડોશી ગામ વાસડા સ્થિત ધારમાતાના મંદિરે પહોંચે છે. અહીં પરંપરાગત રીતે માતાજીની પલ્લી ભરવામાં આવે છે . માતાજીના ચરણે શીશ ઝુકાવી ગ્રામજનોએ સુખ-શાંતિની પ્રાર્થના કરે છે. મંદિરે પલ્લી ભર્યા બાદ ધારમાતાને શુદ્ધ ઘીમાંથી બનેલી સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. ગામના અગ્રણી પ્રતાપજી ઠાકોરે જણાવ્યું હતું કે અમારા બાપ-દાદાના વખતથી આ રિવાજ છે. મહિલાઓ ઘાસ ન કાપે અને ધારમાતાની પલ્લી ભરાય, આ આસ્થા જ અમારા ગામને એક તાંતણે બાંધી રાખે છે.
ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં કુપોષણની સ્થિતિ અંગે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. 31 જાન્યુઆરી, 2026ની સ્થિતિએ આ પાંચ જિલ્લાઓમાં કુલ 55,166 બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે. જેમાં સૌથી ગંભીર સ્થિતિ બનાસકાંઠા જિલ્લાની છે. પણ મહેસાણામાં સુધારો ઝડપી છે. વિગતો જોઇએ તો સૌથી વધુ અસર બનાસકાંઠા જિલ્લામાં છે સૌથી વધુ 19,391 બાળકો કુપોષિત છે, જેમાં પાલનપુર તાલુકો 2,697 બાળકો સાથે મોખરે છે. જ્યારે સાબરકાંઠામાં 3,192 બાળકો અતિ ઓછા વજનવાળા છે, જે આખા ગ્રુપમાં ચિંતાનો વિષય છે. રાહતની વાત એ છે કે તમામ જિલ્લાઓમાં છેલ્લા એક વર્ષમાં 46,957 કુપોષિત બાળકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. મહેસાણા જિલ્લામાં 9,828 બાળકો કુપોષણમુક્ત થયા છે, જે એક પોઝિટિવ પાસું છે. બનાસકાંઠામાં પણ 23,028 બાળકોના કુપોષણમાં ઘટાડો નોંધાયો હોવાનો સરકારી દાવો છે. (સોર્સ : વિધાનસભામાં થયેલી પ્રશ્નોત્તરી પરથી) કુપોષિત બાળકોની સ્થિતી તાલુકાવાર હોટસ્પોટ સરકારના પગલાં- 1000 દિવસનું મિશનકુપોષણ દૂર કરવા માટે સરકાર દ્વારા તમામ આંગણવાડી કેન્દ્રોમાં ફોર્ટીફાઇડ સુપોષિત આહાર આપવામાં આવે છે. ખાસ કરીને બાળકના જન્મના પહેલા અને જન્મ પછીના કુલ 1,000 દિવસ સુધી સુપોષિત આહાર પૂરો પાડવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે જેથી બાળકોના સર્વાંગી વિકાસને વેગ મળે.
ઓરીનો કેસ મળી આવ્યો:ભીલડીમાં શંકાસ્પદ ઓરીનો કેસ નોંધાયો
ભીલડી પંથકમાં અત્યારે નાના બાળકોમાં શંકાસ્પદ ઓરી વાયરસના કેસ જોવા મળી રહ્યા છે. દિવસે ગરમી અને રાત્રે ઠંડક જેવી બેવડી ઋતુના કારણે બાળકો ઝડપથી બીમાર પડી રહ્યા છે. ઘણા ગામોમાં ઘેરઘેર બાળકો બીમારીના ખાટલા પર હોવાની સ્થિતિ જોવા મળી રહી છે. તાવ અને શરદી જેવા લક્ષણો જોવા મળતાં માતા-પિતામાં ચિંતા ફેલાઈ છે. સ્થાનિક લોકો આરોગ્ય વિભાગને તાત્કાલિક સર્વે કરવા અને તબીબી ટીમ મોકલી જરૂરી સારવાર અને રસીકરણની માંગ કરી રહ્યા છે, જેથી વાયરસનો ફેલાવો અટકાવી શકાય.
ગેસ પુરવઠો ખોરવાયો:પાલનપુર હાઈવેની ગેસલાઇન તૂટી જતાં 25 સોસાયટીમાં ત્રણ કલાક ગેસ ન મળ્યો
પાલનપુર-આબુરોડ હાઈવે પર આવેલી લીલી વાડી નજીક રવિવારે ગેસ લાઇન તોડવામાં આવતા શહેરની અંદાજે 25થી વધુ સોસાયટીઓમાં 2 કલાક સુધી ગેસ પુરવઠો ખોરવાઈ ગયો હતો. દરમિયાન કંપની દ્વારા તાત્કાલિક સમારકામ કરી ગેસ પુરવઠો પુર્વવત કરાયો હતો. ગેસ લાઇન તોડનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે.તેમ સુત્રોએ જણાવ્યું હતુ. એક તરફ ઈઝરાયેલ, ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ગેસ સિલિન્ડરની અછત અને ભાવવધારાની સમસ્યા તોળાઈ રહી છે. ત્યારે પાલનપુરમાં રવિવારે બપોરના સુમારે આબુ હાઇવે ઉપર લીલીવાડી હોટલ નજીક ખાડો ખોદતી વખતે ગેસ લાઈન તૂટી ગઈ હતી. તેનાથી આજુબાજુની 25 સોસાયટીઓમાં બે કલાક માટે ગેસ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જેનાથી ગૃહિણીઓ મુશ્કેલીમાં મુકાઈ હતી. ઘટનાની જાણ થતા જ આર.એમ.આઈ કંપનીની ટેકનિકલ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. લાઇન લીકેજ હોવાને કારણે તકેદારીના ભાગરૂપે તાત્કાલિક પુરવઠો બંધ કરી દેવાયો હતો. કંપની દ્વારા ભારે જહેમત બાદ લાઇનનું સમારકામ પૂર્ણ કરી ગેસ સપ્લાય ફરી શરૂ કરવામાં આવ્યો હતો.આથી લોકોએ રાહતનો દોમ ખાધો હતો. આ અંગે કંપનીના અધિકારીએ જણાવ્યું હતું કે, લાઇન કયા કારણોસર અને કોના દ્વારા તોડવામાં આવી તેની તપાસ શરૂ કરવામાં આવી છે. જે પણ વ્યક્તિ કે એજન્સી આ નુકસાન માટે જવાબદાર હશે. તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ચોમાસા દરમિયાન ઘેડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ અને જળસંગ્રહ માટે મુખ્યમંત્રી દ્વારા ફેઝ-૨ના કુલ રૂ. 1,423.4 કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ઘેડ વિસ્તારના 6 તાલુકાના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. જેમાં ફેઝ – 1 ના 17 અને ફેઝ –2 ના 12 કામો આગામી બે વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે. ગત એપ્રિલ-2025માં ફેઝ-1ના કુલ રૂ. 139.42 કરોડના કામોને મંજૂરી અપાઇ હતી, જે કામો પ્રગતિ હેઠળ છે. ઘેડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે રાજ્યના ઘેડ વિસ્તારના પાણી નિકાલના અભ્યાસ માટે સેકોન કન્સલટન્ટ એજન્સી દ્વારા સર્વેનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. એજન્સી દ્વારા રજૂ કરાયેલ પ્રાથમિક અહેવાલ મુજબ ઘેડ વિસ્તારના પાણી નિકાલના કામો માટે રાજ્ય સરકાર દ્વારા સોરઠી ઘેડ માટે ગત જાન્યુઆરી- 2025માં રૂ. 1184.18 કરોડ અને બરડા ઘેડ માટે રૂ. 350.01 કરોડ એમ કુલ અંદાજીત રૂ. 1534.19 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી વહેતી ભાદર, ઓઝત, મધુવંતી, મીણસાર, વર્તુ, સાની અને સોરઠી વગેરે નદીના મુખ ત્રિકોણ પ્રદેશથી સોરઠી ઘેડ અને બરડા ઘેડ વિસ્તાર બનેલો છે. આ નદીઓના મુખ પાસે બઘી નદીઓ સપાટ, છીછરી અને કાંઠા વગરની હોવાથી પૂરના પાણી કાંઠા બહાર ફેલાઇ સમગ્ર ઘેડ વિસ્તારમાં ફરી વળે છે. ખાસ કરીને ચોમાસાની શરૂઆતથી લગભગ ચાર-પાંચ મહિના સુધી આખો વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ રહે છે તેથી આ વિસ્તારના ખેડૂતોને ચોમાસા દરમિયાન ખેતી કરવામાં મુશ્કેલી અનુભવાય છે તથા ચોમાસાના સમય સિવાય સિંચાઇના પાણીની મુશ્કેલી ઉભી થાય છે.ઘેડમાં ભરાતા પાણીની સમસ્યાનું નિરાકરણ માટે પોરબંદરના સંસદ અને કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવીયા તેમજ કેબિનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડિયા દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ત્રણ ફેઝમાં કામગીરી થશે ત્રણ તબક્કામાં એટલે કે ફેઝ 1, 2 અને 3 માં કામોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સોરઠી અને બરડા ઘેડ વિસ્તારમાં વરસાદી પાણીનાં નિકાલ માટેના આયોજન પૈકી ફેઝ- 1ના કામો માટે રાજ્ય સરકાર દ્વારા એપ્રિલ-૨૦૨૫ના રોજ કુલ અંદાજીત રકમ રૂ. 139.42 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. જેમાં હયાત નદી/કેનાલનું ડીસીલ્ટીંગ કરવું, પાણીના પ્રવાહને અવરોધરૂપ ઝાડી ઝાંખરા/વૃક્ષોનું જંગલ કટીંગ કરવું, પાણીના વહેણમાં અવરોધ રૂપ ચેકડેમ તેમજ અન્ય બાંધકામોને દૂર કરવા જેવા કામો હાથ ધરવામાં આવશે. બીજા ફેઝમાં કયાં-કયાં પ્રકારની કામગીરી કરાશેફેઝ-2માં નદી કાંઠાઓના બેન્ક પ્રોટેક્શનના કામો, નદી, કેનાલ, વોંકળાના ડિસિલ્ટીંગ, જંગલ કટીંગ, બંધ વોંકળાઓ પુનર્જીવિત કરવા, નદી પરના નાના,સાંકળા ગાળાવાળા સી.ડી. વર્ક્સને તોડીને તેની જગ્યાએ નવા મોટા ગાળા વાળા સી.ડી. વર્ક્સ બનાવવા તેમજ જરૂરિયાત મુજબ વોટર ડીવાઈડ સ્ટ્રક્ચર બનાવવા, હયાત ટાઈડલ રેગ્યુલેટરની જગ્યાએ વધુ પાણી નિકાલની ક્ષમતાવાળું ટાઈડલ રેગ્યુલેટરનું આયોજન જરૂરી હોય ટાઈડલ રેગ્યુલેટરની નવીનીકરણની કામગીરી કરવામાં આવશે. વધુમાં પાણીનો વ્યય અટકાવવા અને પાણીની ઉપયોગીતાઓ વધારવા હયાત સ્ટ્રકચરો જેવા કે તળાવ અને ટાઈડલ રેગ્યુલેટરને ઉંડા-પહોળા કરી જળ સંગ્રહ શક્તિ વધારવાના કામો કરવામાં આવશે. હાલ કેટલું કામ થયું છે હાલની સ્થિતિએ ફેઝ-1 ના કામો પૈકી જૂનાગઢ જિલ્લાના સોરઠી ઘેડ વિસ્તારમાં કુલ-3 કામ, પોરબંદર જિલ્લાના સોરઠી ઘેડ વિસ્તારમાં કૂલ-7 કામ અને બરડા ઘેડ વિસ્તારમાં કૂલ-7 કામ મળીને કૂલ-17 કામો જેમાં નદી,વોંકળા,કેનાલોના ખોદાણની કામગીરી પ્રગતિ હેઠળ છે. જે આગામી ચોમાસા-2026 પહેલા પૂર્ણ કરવાનું આયોજન છે.
હાશકારો:આંગણવાડી અને મધ્યાનભોજન સંચાલકો પાસે પૂરતા ગેસના સિલિન્ડર
ર પોરબંદર જિલ્લામાં હાલ ગેસના સિલિન્ડર અછત જોવા મળી રહી છે ત્યારે જિલ્લામાં આવેલ આંગણવાડી અને મધ્યાનભોજન સંચાલકો પાસે પૂરતા ગેસના સિલિન્ડર હોવાથી બાળકોને પૂરતો નાસ્તો મળી રહ્યો છે. જિલ્લાની આંગણવાડીમાં ઘરેલુ સિલિન્ડર ઉપલબ્ધ હોવાથી અછત ઉભી ન થઈ હોવાનું સામે આવ્યું છે. પોરબંદર જિલ્લામાં હાલ ગેસના સિલિન્ડરની અછત જોવા મળી રહી છે ત્યારે ગેસના સિલિન્ડરની અછતને લઈને શહેરમાં હાલ અનેક ખાણીપીણીના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને પોતાના વેપાર બંધ કરવાની ફરજ પડી રહી છે ત્યારે પોરબંદર જિલ્લામાં ગેસના સિલિન્ડરની અછતને લઈને અમૂક પરિવારને પણ ગેસના સિલિન્ડર મળતા નથી જેને લઈને હાલ સિલિન્ડર લેવા એજન્સી ખાતે દોડાદોડી જોવા મળી થઈ છે. તો બીજી તરફ પોરબંદર જિલ્લામાં આવેલ 400 જેટલી આંગણવાડી અને સ્કૂલમાં આવેલ મધ્યાન ભોજન સેન્ટરોમાં હાલ પણ પૂરતા ગેસના સિલિન્ડર ઉપલબ્ધ હોવાથી બાળકોને પૂરતો નાસ્તો મળી રહ્યો છે. દરમિયાન પોરબંદર જિલ્લાની આંગણવાડી કેન્દ્ર અને મધ્યાન ભોજન સેન્ટરમાં ઘરેલુ ગેસના સિલિન્ડર ઉપલબ્ધ હોવાથી ગેસના સિલિન્ડરની અછત સર્જાઈ ન હતી.
ફરિયાદ:સામાન રાખવા બાબતે સામસામી મારામારી, 2 સભ્યો ઈજાગ્રસ્ત
પોરબંદર કુતિયાણા ખાતે સામાન રાખવા બાબતે બે પક્ષો વચ્ચે સામસામી મારામારી સર્જાઈ હતી.આ મારામારીમાં બંને પક્ષે એક એક સભ્યને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન આ ઘટના બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાની મળતી વિગતો મુજબ કુતિયાણા ખાતે રહેતા ડોડીયા ભીમાભાઈ આલાભાઈ નામના આધેડના ઘરે દિનેશ હમીર ચુડાસમાએ સામાન રાખ્યો હતો જે બાબતે બોલાચાલી થયા બાદ આધેડ ઉપર જગા ચુડાસમા તથા કેતન ચુડાસમાએ હુમલો કર્યો હતો.તો સમાપક્ષે પણ પણ ચુડાસમા દિનેશ હમીર ઉપર ભીમા આલા નામનો શખ્સ કુહાડી વડે હુમલો કર્યો હતો.આ હુમલામાં બંને પક્ષે ઈજાગ્રસ્ત બનેલ એક એક સભ્યને સારવાર અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ ઘટના બાદ પોલીસે બંને પક્ષે ઈજાગ્રસ્ત સભ્યોના નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ ઘટનાને લઈને કુતિયાણા શહેરમાં પણ ચર્ચા જાગી હતી.
કાર્યવાહી:હથિયારો સાથે ફોટો પડાવવાનો શોખ પૂરો કરવા ઘરઘાટીએ પિસ્ટલ ચોરી હતી
વસ્ત્રાપુરની ગોયલ ઇન્ટરસિટીમાં રહેતા નિવૃત્ત ડીજીપી ગુરુદયાલસિંગના દીકરાની લાઈસન્સવાળી પિસ્ટલ અને 10 કારતૂસની ચોરી થઈ હતી. તેમને ઘરઘાટી ઉપર શંકા હોવાથી તેની સામે ફરિયાદ નોંધાવી હતી. વસ્ત્રાપુર પોલીસે ઘરઘાટીની ધરપકડ કરી તેની પાસેથી પિસ્ટલ અને કારતૂસ કબજે કર્યા હતા. ઘટઘાટીને હથિયાર સાથે ફોટો પડાવવાનો શોખ હોવાથી તે હોળી વખતે વતન ગયો ત્યારે પિસ્ટલ અને કારતૂસ ચોરીને સાથે લઈ ગયો હતો. ગોયલ ઇન્ટરસિટીમાં રહેતા અમનદીપસિંગ સિંગ (49) ગૌશાળા રાખીને દૂધ અને ઘીનો વેપાર કરે છે. તેમના પિતા ગુરુદયાલસિંગ નિવૃત્ત ડીજીપી હતા અને તેમનું 2021માં અવસાન થયું હતું. તેમનાં માતા મંજીતકૌરનું 2023માં અવસાન થયું હતું. અમનદીપસિંગે 2004માં માતાના નામે હથિયારનું લાઇસન્સ લીધું હતું અને કોલ્ટ પૉઇન્ટ 25 પિસ્ટલ ખરીદી હતી. જોકે માતાના અવસાન બાદ હથિયાર જમા કરાવવાનું હોવાથી અમનદીપસિંગે કબાટમાં તપાસ કરી તો પિસ્ટલ, 10 કારતૂસ તેમજ કવરની ચોરી થઈ હતી. જો કે તેમના ઘરે અગાઉ ઘરઘાટી તરીકે બહેનને નોકરી રાખ્યા હતા. પરંતુ તેમણે નોકરી છોડી દેતા 2 મહિના પહેલા ઘરઘાટી તરીકે મહિપાલસિંગ અર્જુનસિંગ સિસોદિયા (22)(ગોહાવાડા, ખેરવાડા, ઉદેપુર, રાજસ્થાન)ને નોકરી રાખ્યો હતો. અમનદિપસિંગે મહિપાલસિંગને પૂછતાં તે હથિયાર વિશે કશું જાણતો નહીં હોવાનું રટણ કરી રહ્યો હતો. આથી અમનદીપસિંગે આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઇ ગીતાબહેન ચૌધરીએ મહિપાલસિંગની ધરપકડ કરીને પિસ્ટલ અને 10 કારતૂસ કબજે કર્યા હતા.
ધરપકડ:વેપારીના 25 ગ્રામ સોનાના સિક્કા પડાવનારા 3 પકડાયા
રેલ્વેના ટેન્ડર અપાવવાના બહાને પશ્ચિમ બંગાળના એક વેપારી પાસેથી 25 ગ્રામ સોનાના સિક્કા પડાવી લઈ ગયેલા 3 ગઠીયાની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. આરોપીઓએ મીટીંગ કરવાના બહાને વેપારીને શાહીબાગ સરકીટ હાઉસમાં બોલાવ્યા હતા. જ્યાં રેલ્વેના અધિકારી તરીકે ઓળખાણ આપીને ટેન્ડર લેવા માટે તેમને ગીફટમાં આપવા માટે સોનાના સિક્કા પડાવ્યા હતા. પકડાયેલા 3 આરોપીમાં 1 રેલ્વેના કર્મચારીનો સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળના એક વેપારીને રેલ્વેના ટેન્ડર અપાવવાના બહાને અમદાવાદના ગઠીયાઓની ટોળકીએ બોલાવ્યા હતા. ત્યારબાદ રેલ્વેના અધિકારી તરીકે ઓળખાણ આપી શાહીબાગ સરકીટ હાઉસમાં મીટીંગ કરી હતી. જ્યાં રેલ્વેના અધિકારીઓને ટેન્ડર માટે ગીફટમાં આપવા માટે 25 ગ્રામ સોનાના 2 સિક્કા પડાવી લીધા હતા. આ અંગે વેપારીએ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તેજસ ચંદ્રકાંત મહેતા, કૌશિક પ્રહલાદભાઈ લાખાણી અને જીતુભાઈ અરવિંદભાઈ પટેલ ની ધરપકડ કરી હતી. ત્રણ માંથી તેજસ રેલ્વેમાં નોકરી કરતો હોવાનું પોલીસનું કહેવુ છે.
અકસ્માત:નશામાં ધૃત લોડિંગ રિક્ષાચાલકે ટક્કર મારતાં ચાલતાં જઈ રહેલા વૃદ્ધનું મોત
પાંજરાપોળ ચાર રસ્તાથી પર્યાવરણ મંદિર તરફ પગપાળા જતા વૃદ્ધને નશામાં ધૃત લોડિંગ રિક્ષાચાલકે ટક્કર મારતાં વૃદ્ધનું મૃત્યુ થયું હતું. સ્થાનિકોએ રિક્ષાચાલકને મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યો હતો. મૂળ યુપીના અને હાલ ઓઢવમાં રહેતા હરિપ્રસાદ પાંડે (69) રિક્ષા ચલાવે છે. ગત શનિવારે સાંજે તેઓ પાંજરાપોળ ચાર રસ્તાથી પર્યાવરણ મંદિર તરફ ચાલતા જતા હતા ત્યારે તક્ષશિલા હેબિટાડ બંગ્લોઝ પાસે ઓએનજીસીની દીવાલ પાસેથી પૂરપાટ ઝડપે આવેલી લોડિંગ રિક્ષાએ તેમને ટક્કર મારતાં હવામાં ફંગોળાઈને રસ્તા પર પટકાયેલા હરિપ્રસાદ પાંડેને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. આથી ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ ટોળાએ રિક્ષાચાલકને પકડીને મેથીપાક આપ્યો હતો. પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ તપાસમાં રિક્ષાચાલકનું નામ રાજુ જાટવ અને ઓઢવના કમલેશ પાર્કમાં રહેતો હોવાનું જણાયું હતું. રાજુએ ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં રિક્ષા ચલાવી અકસ્માત કર્યો હતો. આરોપીની લોડિંગ રિક્ષામાં નંબર પ્લેટ નહોતી સાથે ચિક્કાર દારૂ પીધેલો હોવાથી પોલીસે બીએનએસની કલમ 105 (સાઅપરાધ મનુષ્યવધ) હેઠળ ગુનો નોંધ્યો છે. જેમાં ગંભીર બેદરકારી અને જીવનું જોખમ છતાં દારૂ પી રિક્ષા ચલાવી અકસ્માત કર્યો હતો. હાલ આઈ ડિવિઝન પોલીસે રાજુની ધરપકડ કરી વધુ તપાસ આદરી છે. વૃદ્ધ પિતા ઑટો રિક્ષાનું રીપૅરિંગ કરાવવા માટે ઘરેથી નીકળ્યા હતા અને પુત્રને મૃત્યુના સમાચાર મળ્યામૃતક હરિપ્રસાદના દીકરા શૈલેષે જણાવ્યું કે પિતા હરિપ્રસાદ ઑટો રિક્ષામાં થોડું રીપૅરિંગ કરાવવા નીકળ્યા હતા. બાદમાં તેમના એક રિક્ષાચાલક મિત્રે આવીને જણાવ્યું કે તમારા પિતાને અકસ્માત થયો છે. આથી મેં તાત્કાલિક ત્યાં પહોંચીને જોયું તો પિતા રોડની સાઇડમાં પડ્યા હતા અને માથા તથા મોઢામાં ગંભીર ઈજાના કારણે મોત થયું હતું. ત્યાર પછી આસપાસના લોકોની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે લોડિંગ રિક્ષાના ચાલકે ટક્કર મારી હતી. સ્થળ પર અકસ્માત કરનારી રિક્ષા પણ પડી હતી.
ભાસ્કર એક્સક્લુઝિવ:માતા-પિતાની જેમ સાસુ-સસરાને 10 વર્ષથી સાચવતા 21 જમાઈનું 1 એપ્રિલે સન્માન થશે
પરિવાર માત્ર લોહીના સંબંધથી નહીં પણ સ્નેહ, સંસ્કાર અને જવાબદારીથી મજબૂત બને છે. સાસરીમાં દીકરા સમાન ગણાનાર જમાઇ એ પરિવારમાં એકતા અને સંવાદિતાને મજબૂત બનાવે છે. અમદાવાદમાં આવી જ લાગણી અને સંસ્કારને ઉજાગર કરતી અનોખી પહેલ હાથ ધરાઇ છે. શહેરની બે સામાજિક સંસ્થા ગોપાલ મહેક ટ્રસ્ટ અને પર્વ ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા પહેલી વાર સાસુ-સસરાને માતા-પિતાની જેમ સાચવીને સેવા કરનારા જમાઈઓને શોધીને સન્માનિત કરવાનો નિર્ણય લેવાયો છે. આ પહેલ હેઠળ 10 વર્ષથી સાસુ-સસરાની જવાબદારી સ્વીકારનારા વિવિધ સમાજના જમાઈઓની શોધ કરાઈ રહી છે. સંસ્થા દ્વારા જાહેર અપીલ બાદ અનેક પ્રેરણાદાયી કિસ્સા સામે આવ્યા, જેમાંથી 21 જમાઈની પસંદગી કરાઈ છે. 1 એપ્રિલે જાહેર મંચ પર આ તમામ જમાઈનું સન્માન કરાશે. સંસ્થાનું માનવું છે કે આવાં ઉદાહરણને સમાજ સમક્ષ લાવવાથી પરિવાર પ્રત્યેની જવાબદારી અને સંસ્કારનો સકારાત્મક સંદેશ ફેલાશે. સામાન્ય રીતે જમાઈને પરિવારનો મહેમાન માનવામાં આવે છે, પરંતુ ઘણા જમાઈ એવા પણ છે, જે વર્ષોથી પોતાનાં સાસુ-સસરાને દીકરા સમાન સહારો આપે છે. આ પ્રકારની લાગણી અને જવાબદારીને સમાજ સમક્ષ માન આપવા આ પહેલ શરૂ કરાઈ છે. આવો વિચાર કેવી રીતે આવ્યો?સંસ્થાના સભ્યોના કહેવા પ્રમાણે એક દિવસ એક યુવાન વિદેશ જવા માટે મળવા આવ્યો હતો. વાતચીત દરમિયાન તેનાં માતા-પિતાની સંભાળ વિશે પૂછતાં તેણે કહ્યું કે હવે તેમની જવાબદારી મારી બહેન-બનેવી લેશે. આ વાતથી એવી પ્રેરણા મળી કે સમાજમાં એવા અનેક જમાઈ હશે જે પોતાનાં સાસુ-સસરાને પોતાનાં માતા-પિતાની જેમ સાચવે છે. ત્યાર બાદ બંને સંસ્થાએ જાહેર અપીલ કરી આવા જમાઈઓને શોધવાની કવાયત હાથ ધરી હતી.
શિક્ષણ:દેશની 7 IISER સંસ્થામાં પ્રવેશ માટે 7 જૂને એપ્ટિટયૂડ ટેસ્ટ, 13 એપ્રિલ સુધી અરજી કરાશે
દેશની Indian Institutes of Science Education and Research (IISER) 7 સંસ્થામાં પ્રવેશ માટેની IISER Aptitude Test (IAT)ની સત્તાવાર જાહેરાત કરાઈ છે. પરીક્ષા દ્વારા ચાર વર્ષના BS, પાંચ વર્ષના BS-MS ડ્યુઅલ ડિગ્રી અને નિર્ધારિત સંસ્થામાં B.Tech કાર્યક્રમોમાં પ્રવેશ અપાશે. કમ્પ્યુટર આધારિત (CBT) પરીક્ષામાં 60 પ્રશ્નો હશે, જેમાં બાયોલોજી, કેમિસ્ટ્રી, મેથ્સ અને ફિઝિક્સમાંથી 15 પ્રશ્નો પૂછાશે. પરીક્ષા ત્રણ કલાકની રહેશે. વૈજ્ઞાનિક કે કોલેજમાં અધ્યાપકની જોબ મેળવી શકાય‘IISER (ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટસ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રીસર્ચ) પૂણે, કોલકાતા, મોહાલી, ભોપાલ, ત્રિવેન્દ્રમ, તિરુપતિ, બરહામપુરમાં ઉપલબ્ધ છે. જે બેઝિક સાયન્સમાં રિસર્ચર કે વિજ્ઞાન-સંશોધન ક્ષેત્રે કેરિયર ઘડવા માગતા હો, તો આ મહત્ત્વપૂર્ણ પરીક્ષા છે. IISER (ભારતીય વિજ્ઞાન શિક્ષા તથા અનુસંધાન સંસ્થાન) ભારતનું પ્રમુખ સંસ્થાન છે, જેમાં અભ્યાસ સાથે શોધ-સંશોધન પર ભાર મૂકાય છે. અહીંની ડિગ્રી મેળવ્યા પછી સંશોધન સંસ્થામાં વૈજ્ઞાનિકની કે કોલેજમાં અધ્યાપકની જોબ મળી શકે છે -ડો.એસ કે વિજય, નેશનલ કોમ્પેટેટિવ એક્ઝામ કોચિંગ એક્સપર્ટ કયા સંસ્થામાં કયા કોર્સમાં પ્રવેશ અપાશે ! ઓરિસ્સાના બરહમપુર દ્વારા આ પરીક્ષા લેવાશેઆઈએટી-2026 7 જૂન, 2026ના રોજ આઈઆઈએસએઈ, ઓરિસ્સાના બરહમપુર દ્વારા લેવાનાર છે. જેની Official Website: iiseradmission.in છે. જેનું એડમિટ કાર્ડ 24 મે, 2026ના રોજ ડાઉનલોડ કરી શકાશે. પ્રવેશ કાર્યક્રમની તારીખ
મંડે પોઝિટીવ:ભોજનની થાળી પર લખેલા સ્પેલિંગ વાંચીને બાળકો રમતાં-જમતાં અંગ્રેજી શીખે છે
શિક્ષણને ભાર વિનાનું અને આનંદદાયી બનાવવાના હેતુથી જોટાણા તાલુકાની મોદીપુરા પ્રાથમિક શાળામાં એક અનોખો અને પ્રેરણાદાયી પ્રયોગ રમતાં જમતાં અંગ્રેજી શીખો' ઇનોવેશન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. શિક્ષિકા આશાબેન સથવારાએ બાળકોમાં અંગ્રેજીનો ડર ભગાડવા માટે મધ્યાહન ભોજનની થાળીને જ શિક્ષણનું માધ્યમ બનાવી દીધું છે. શિક્ષિકાએ જ્યારે ધોરણ 5 થી 8ના વર્ગમાં અવલોકન કર્યું, ત્યારે શિક્ષણ સ્તર અંગે કેટલાક ચિંતાજનક તારણો સામે આવ્યા હતા. 70% બાળકો એવા હતા જેમને રોજિંદા વપરાશના 10 અંગ્રેજી શબ્દો પણ આવડતા નહોતા. 60% વિદ્યાર્થીઓ સાદા સ્પેલિંગ વાંચવામાં મુશ્કેલી અનુભવતા હતા. 80% જેટલા બાળકો અંગ્રેજીના તાસ દરમિયાન લઘુતાગ્રંથિ કે ગભરાટ અનુભવતા હતા. આ સાદા છતાં અસરકારક પ્રયોગથી માત્ર એક જ વર્ષમાં 34 વિદ્યાર્થીઓએ 300થી વધુ નવા અંગ્રેજી સ્પેલિંગ આસાનીથી શીખી લીધા છે. આ ઉપરાંત, કેરમની કૂકડીઓ ઉપર મૂળાક્ષરો લખીને અને ચુંબકીય રમતો દ્વારા પણ અંગ્રેજી શબ્દભંડોળ વધારવાના પ્રયાસો સફળતાપૂર્વક ચાલી રહ્યા છે. થાળી જ બની છાત્રોનું નવું શબ્દભંડોળરિસેસમાં બાળકોને થાળી-ચમચીથી અવાજ કરતા જોઈને શિક્ષિકાને વિચાર આવ્યો કે આ સમયને શિક્ષણમાં કેવી રીતે બદલવો. તેમણે શાળાની 76 થાળી પાછળ ઓઇલ પેઇન્ટથી અંગ્રેજી સ્પેલિંગ, તેનો ઉચ્ચાર અને ગુજરાતી અનુવાદ લખ્યા. જે માં શરીરના અંગો, શાળાની ચીજવસ્તુઓ, ઘરવખરી, રોજિંદી ઉપયોગી વસ્તુઓ અને મહિનાઓના નામ જેવા રોજિંદા વપરાશના શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો. 70% ને રોજિંદા વપરાશના શબ્દોય આવડતા નહોતાધોરણ 5 થી 8ના વર્ગમાં અવલોકનમાં 70% બાળકોને રોજિંદા વપરાશના 10 અંગ્રેજી શબ્દો પણ આવડતા નહોતા. એટલે તેમનું શબ્દ ભંડોળ વધે અને અંગ્રેજીનો ડર દૂર થાય તે માટે રમતાં-જમતાં નવા શબ્દો શીખે તે માટે મધ્યાહન ભોજનની થાળીઓને જ શિક્ષણનું માધ્યમ બનાવ્યું. > આશાબેન સથવારા, શિક્ષિકા થાળી પર દર બે મહિને નવા સ્પેલિંગ લખાય છેમધ્યાહન ભોજન પીરસાય તે પહેલાંની 5 થી 7 મિનિટનો સમય, જે અગાઉ વ્યર્થ જતો, તેનો હવે સદુપયોગ થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ એકબીજાની થાળી ફેરવીને સ્પેલિંગ વાંચતા થયા છે. ભોજન બાદ થાળી સાફ કરતી વખતે પણ તેઓ આ શબ્દોનું પુનરાવર્તન કરે છે. દર બે મહિને થાળી પર નવા સ્પેલિંગ લખવામાં આવે છે, જેથી જ્ઞાન અપડેટ થતું રહે. આવી રીતે ભોજનની થાળીની પાછળ શબ્દો લખવામાં આવે છે.
ભાસ્કર એક્સક્લુસિવ:કોમર્શિયલ ગેસની અછતથી દેદિયાસણ GIDCમાં પ્લાસ્ટિક યુનિટ 7 દી''થી બંધ
ખાડી દેશોમાં ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિના કારણે ક્રૂડ ઓઇલના વધેલા ભાવની અસર હવે મહેસાણા જિલ્લાના ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ દેખાવા લાગી છે. ક્રૂડ ઓઇલની બાય પ્રોડક્ટ તરીકે ઉપયોગમાં લેવાતા રેઝિનના ભાવમાં ભારે વધારો થતાં પીવીસી પાઇપ અને પ્લાસ્ટિક ટાંકી બનાવતા ઉદ્યોગોને સીધી અસર પહોંચી છે. બીજી તરફ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત સર્જાતા દેદિયાસણ GIDCના કેટલાક પ્લાસ્ટિક યુનિટોમાં છેલ્લા સાત દિવસથી ઉત્પાદન ઠપ થયું છે. મહેસાણાના સેનિટેશન સામગ્રીના વેપારી કિરણભાઈ પટેલે જણાવ્યું કે, હાલમાં ભાવમાં ભારે અસ્થિરતા હોવાથી ઓર્ડર આપતાં પહેલાં તાજા ભાવ ચકાસવા પડે છે. હોલસેલમાં પણ પીવીસી પાઇપમાં 50% ભાવ વધ્યા મોટપ સ્થિત યુનિટના ઉદ્યોગકાર સંજયભાઈ પટેલે જણાવ્યું કે, રેઝિનના ભાવમાં વધારાના કારણે ઉત્પાદન ખર્ચ વધી ગયો છે. અગાઉ રૂ.71 પ્રતિ કિલો મળતું રેઝિન હવે રૂ.110 સુધી પહોંચી ગયું છે. પરિણામે હોલસેલમાં રૂ.85 પ્રતિ કિલો મળતી પીવીસી પાઇપ રૂ.125 પહોંચી છે. અસર : હાલમાં કૃષિ સિઝન દરમિયાન ખેડુતો પાઇપલાઇન બિછાવવા માટે મોટી સંખ્યામાં પાઇપ ખરીદતા હોય છે, પરંતુ વધેલા ભાવના કારણે ઓર્ડરમાં ઘટાડો થયો છે. તેની અસર બાંધકામ અને પ્લમ્બિંગ સામગ્રીના વેપારમાં પણ જોવા મળી રહી છે. પ્લાસ્ટીકના કાચા માલની સપ્લાય ચેઇન સદંતર ઠપકોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતને કારણે દેદિયાસણ GIDCના કેટલાક પ્લાસ્ટિક ઉદ્યોગોમાં ઉત્પાદન બંધ કરવાની ફરજ પડી છે. પ્લાસ્ટિકની પાણીની ટાંકી બનાવતા યુનિટમાં 7 દિવસથી ઉત્પાદન બંધ છે. મશીનો ઇલેક્ટ્રિક મોટરથી ચાલતા હોવા છતાં પ્લાસ્ટિક પાવડર ઓગાળવા ગેસ જરૂરી છે. અસર : દર સોમવારે રૂ.1835ના ભાવે મળતો કોમર્શિયલ ગેસ સિલિન્ડર ગત સપ્તાહે મળ્યો નહોતો. ઉપરાંત પ્લાસ્ટિક પાવડરનો કાચો માલ શારજાહથી અમદાવાદ આવી પ્રોસેસિંગ થયા બાદ મહેસાણા પહોંચે છે, પરંતુ ખાડી દેશોમાં યુદ્ધની પરિસ્થિતિને કારણે સપ્લાય ચેઇન પર પણ અસર પડી છે. હોટલોના મેનુમાં ફેરફાર : ચપાટી ગાયબ તંદુરી રોટી જ વિકલ્પ... કેટલીક હોટલે ચૂલા બનાવ્યાકોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતના કારણે મહેસાણાની ઘણી હોટલોના મેનુમાં ફેરફાર કરાયો છે. ચપાટી-રોટી મળવી બંધ થઈ ગઈ છે. પરિણામે તંદુરી રોટીથી જ કામ ચલાવવું પડી રહ્યું છે. ઓર્ડર આપતા પહેલાં ચપાટી મળે છે કે તંદુરી રોટી, તે પૂછવું પડે છે. મહેસાણાના વિસનગર રોડ પર આવેલી ડિસન્ટ રેસ્ટોરન્ટમાં રાત્રે ઓર્ડર આપવા જતાં વેઇટરે કહ્યું કે હાલ ચપાટી ઉપલબ્ધ નથી અને માત્ર તંદુરી રોટી જ મળશે. મેનેજરે જણાવ્યું કે, ચપાટી ગેસ પર બનતી હોવાથી સિલિન્ડરની અછતને કારણે તેને બનાવવી મુશ્કેલ બની છે. પાલાવાસણા બાયપાસ પર આવેલી રામ રતન હોટલે તો કોમર્શિયલ ગેસના વિકલ્પ તરીકે ચૂલાં પણ બનાવી લીધા છે. હોટલ સંચાલક ગાંડાલાલ પટેલે જણાવ્યું કે, હાલ ગેસ સિલિન્ડર મળવા મુશ્કેલ છે. લાકડાંની વ્યવસ્થા કરીને ચૂલા પર રસોઈ બનાવવાનું શરૂ કર્યું છે.
ગામ ગામની વાત:સામાજિક એકતા વિકાસના સંગમ સમુ ગામ ઉનાવા
મહેસાણા જિલ્લામાં સૌથી વધુ વસ્તી ધરાવતા ગામો પૈકીનું ઉનાવા પ્રગતિશીલ અને સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું ગામ છે. ઊંઝા તાલુકાના અંદાજે 15 હજાર જેટલી વસ્તી ધરાવતા આ ગામમાં પીવાના પાણી, ગટર લાઇન, રોડ-રસ્તા સહિતના વિકાસ કાર્યોને કારણે ગામનો સર્વાંગી વિકાસ થયો છે. ઉનાવાની ઓળખ માત્ર તેની મોટી વસ્તી માટે જ નહીં, પરંતુ અહીં આવેલા સુપ્રસિદ્ધ મીરાદાતાર દરગાહ માટે પણ છે. સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે. અજમેર દરગાહના દર્શન કર્યા બાદ ઘણા શ્રદ્ધાળુઓ અહીં માથું ટેકવા આવે છે. હિન્દુ, મુસ્લિમ સહિત તમામ ધર્મના લોકો અહીં શ્રદ્ધાપૂર્વક દર્શન કરે છે. દરગાહને કારણે ગામમાં ધર્મશાળા અને ગેસ્ટ હાઉસની પણ સારી વ્યવસ્થા ઉભી થઈ છે. ગામમાં ધાર્મિક સ્થળોમાં શનિદેવનું પ્રાચીન મંદિર પણ આવેલું છે, જ્યાં ખાસ કરીને શનિવારે ભક્તોની ભીડ જોવા મળે છે. ધાર્મિક આસ્થા સાથે ગામમાં સામાજિક સુમેળ પણ જોવા મળે છે, જ્યાં હિંદુ અને મુસ્લિમ સમાજ વચ્ચે ભાઈચારો અને એકતા ગામની સૌથી મોટી ઓળખ બની છે. ગામમાં શિક્ષણ અને બાળ વિકાસ માટે 13થી વધુ આંગણવાડીઓ અને પ્રાથમિક શાળા કાર્યરત છે. ઉપરાંત એચ.પી. વિદ્યાલય અને સર્વોદય મીરાદાતાર હાઈસ્કૂલ જેવી શૈક્ષણિક સંસ્થાઓ પણ છે. APMC કપાસ અને તમાકુનું મોટું માર્કેટકૃષિ ક્ષેત્રમાં પણ ઉનાવા ગામ આગવું સ્થાન ધરાવે છે. અહીં ગુજકો માસોલ નામની ખાતર બનાવતી એકમ કાર્યરત છે, જેના કારણે ગામની વિશેષ ઓળખ ઉભી થઈ છે. ઉનાવા APMCમાં કપાસ અને તમાકુની નોંધપાત્ર આવક થાય છે, જેના કારણે સ્થાનિક ખેડૂતો કૃષિ ક્ષેત્રે સારી પ્રગતિ કરી રહ્યા છે. ઉનાવાનું બજાર પણ વિસ્તારનું મહત્વપૂર્ણ વેપાર કેન્દ્ર છે. ગામની વિગત
મહેસાણાના મોઢેરા રોડ પર નુગર બાયપાસથી ગોકુલધામ સુધી એક તરફ નવો રસ્તો બનાવવામાં આવ્યો છે, જ્યારે બીજી બાજુનો રોડ હજુ બનાવાયો નથી. જેના કારણે જૂના રોડની સરખામણીએ નવો રોડ લગભગ એક ફૂટ જેટલો ઊંચો રહેતા વાહનચાલકો માટે રોડ ક્રોસ કરવો મુશ્કેલ બન્યો છે. રોડ સાઇડના ક્રોસિંગમાં લેવલ ન મળતા વાહનો નીચે અડી જવાની શક્યતા રહે છે તેમજ એક તરફ ઝૂકી જતાં પલ્ટી ખાવાનો ભય પણ રહે છે. આ પરિસ્થિતિને કારણે અનેક વાહનચાલકોને ગોકુલધામ સુધી જઈને પાછું વળવું પડે છે અથવા રોંગ સાઇડથી જવાનું જોખમ લેવું પડે છે તેમ વાહનચાલક હર્ષ પ્રજાપતિએ જણાવ્યું હતું. આ વિસ્તારમાં દેદિયાસણ ગામ તરફથી આવતો માર્ગ તેમજ નજીકમાં પેટ્રોલ પંપ અને સીએનજી પંપ આવેલા હોવાથી લોકોને ત્યાં જવા-આવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. તેથી ક્રોસિંગના કટમાં યોગ્ય ઢાળ બનાવી વાહનચાલકો માટે રસ્તો સુલભ બનાવવાની માંગ ઉઠી રહી છે.
ખિસ્સા કાતરું ટોળકી ઝડપાઈ:પાલોદરના મેળામાં યાત્રિકોના ખિસ્સા કાપનાર અમદાવાદના 6 શખ્સ ઝબ્બે
પાલોદર ગામે જોગણી માતાજીના મેળામાં અમદાવાદની ખિસ્સા કાતરુ ટોળકીના 6 શખ્સોને મુદ્દામાલ સાથે મહેસાણા તાલુકા પોલીસે ઝડપી લઇ ચોરીની 3 ઘટનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. તાલુકા પોલીસ સ્ટાફે મેળામાં શંકાસ્પદ જણાતાં પૂછપરછ કરી હતી. જેમાં મહેસાણા શહેરના આંબાવાડી વિસ્તારમાં રહેતા દિલિપસંગ ઠાકોરના ખિસ્સામાંથી રૂ.4500, લશ્કરી કૂવા વિસ્તારના ઈબ્રાહીમભાઈ સીંધીના ખિસ્સામાંથી રૂ.6000 તેમજ મરેડા ગામના રોહિત રતુજી ઠાકોરના ખિસ્સામાંથી રૂ.4500 રોકડ ભરેલું પાકીટ ચોરી કર્યું હતું. પકડાયેલા આરોપીઓ 1. સાહિલ દિનેશભાઈ દંતાણી ખોખરા 2. સુમીત અશોકભાઈ લકુમ ખોખરા 3. અજીત રમણભાઈ રાવળ હરીપુરા 4. દિપક ભગાભાઇ દંતાણી અમરાઇવાડી 5.સાગર અશોકભાઇ દેવીપૂજક હરીપુરા 6.કરણ દિનેશભાઇ દંતાણી અમદાવાદ
બેંકિંગ વ્યવહારોમાં ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખીને બહાર પાડવામાં આવેલા નવા નિયમો અંગે મહેસાણામાં યોજાયેલી સહકારી બેંકિંગ માર્ગદર્શન શિબિરમાં વિગતવાર માહિતી અપાઇ હતી. નિષ્ણાતોએ જણાવ્યું કે, કોઈ ડિપોઝિટ ખાતેદાર પોતાના ખાતામાં મિનિમમ બેલેન્સ જાળવી શકતો ન હોય તો બેંકે દંડ વસૂલતા પહેલાં ખાતેદારને SMS, ઈ-મેઇલ અથવા પત્ર દ્વારા ઓછામાં ઓછા એક મહિનાની નોટિસ આપવી ફરજિયાત રહેશે. વોટ્સએપ દ્વારા મોકલાયેલા મેસેજ માન્ય નથી. જિલ્લા સહકારી સંઘમાં રવિવારે કો-ઓપ ક્રેડિટ સોસાયટીઓ અને નાગરિક સહકારી બેંકોના પ્રતિનિધિઓ માટે આયોજિત શિબિરમાં એમ્કો બેંક અમદાવાદના પૂર્વ જનરલ મેનેજર પ્રદીપભાઈ ચોકસીએ જણાવ્યું કે, મિનિમમ બેલેન્સ ન હોવા બદલ વસૂલાતો દંડ ખાતામાં રહેલા શોર્ટફોલના પ્રમાણમાં જ હોવો જોઈએ. ઉપરાંત દંડ કપાત પછી ખાતું નેગેટિવ બેલેન્સમાં જવું ન જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે, બેંક બંધ થવાના એક કલાક પહેલાં સુધી નોન-કેશ ટ્રાન્ઝેક્શન જેવી કે ચેક સ્વીકારવા, પાસબુક પ્રિન્ટિંગ અને ડ્રાફ્ટ ઈસ્યુ કરવાની કામગીરી ચાલુ રાખવી પડશે. બેંકના તમામ ફોર્મ,પાસબુક અને પે-ઇન સ્લિપ અંગ્રેજી, હિન્દી અને સ્થાનિક ભાષામાં ઉપલબ્ધ હોવાજોઈએ. ગ્રાહક દ્વારા ‘શક સંવત’ની તારીખ ધરાવતા હિન્દી ચેક પણ માન્ય ગણાશે. રાષ્ટ્રીયકેલેન્ડર મુજબ શક સંવત તારીખ ધરાવતા ચેકને બેંકે ફરજિયાત સ્વીકારવા અને તેનીમાન્યતા ગ્રેગોરિયન કેલેન્ડર સાથે સરખાવી નક્કી કરવી રહેશે. દરેક બેંકે ગ્રાહકોના પ્રશ્નો અને સેવાઓ માટે બ્રાન્ચ સ્તરે કસ્ટમર સર્વિસ કમિટીબનાવવી જરૂરી રહેશે. ઉપરાંત, જો કોઈ વ્યક્તિ પાસે બેંક ખાતું ન હોય તો પણ નાનામૂલ્યના ડ્રાફ્ટ માટે રોકડ સ્વીકારી તેને ડ્રાફ્ટ આપવામાં આવશે. તમામ ઇલેક્ટ્રોનિકટ્રાન્ઝેક્શન અંગે ગ્રાહકોને SMS એલર્ટ મોકલવું ફરજિયાત રહેશે અને તે માટેગ્રાહકનો મોબાઇલ નંબર બેંકમાં નોંધાયેલો હોવો જરૂરી છે. શિબિરમાં પ્રશ્નોત્તરી : બેંક બંધ થઇ જાય તો?સવાલ : બેંક તરફથી મોકલાતા SMS ગુજરાતી ભાષામાં ન મોકલી શકાય? જવાબ : 28 નવેમ્બર 2025ના RBI સર્ક્યુલરમાં પ્રાદેશિક ભાષામાં SMS મોકલવાની ભલામણ કરેલી છે અને ભવિષ્યમાં આવી વ્યવસ્થા અમલમાં આવશે. સવાલ : કોઈ ગ્રાહકે બેંકમાં FD મૂકી હોય અને બેંક બંધ થઈ જાય તો? જવાબ : રૂ.5 લાખ સુધીની ડિપોઝિટ રકમ ખાતેદાર માટે સુરક્ષિત ગણાય છે. સવાલ : દાગીનાની શુદ્ધતા ગ્રાહકની હાજરીમાં માપવાનું ફરજિયાત હોવા છતાં જો બેંકનો વેલ્યુઅર ખોટો નીકળે તો શું કરવું?જવાબ : આવી સ્થિતિમાં ગ્રાહકે યોગ્ય સત્તાવાળાઓ સમક્ષ ફરિયાદ નોંધાવવી જોઈએ.
વીજ પુરવઠો ખોરવાયો:મહેસાણા પાટીદાર પ્લાઝામાં શોર્ટ સર્કિટથી બે દિવસ લાઇટ બંધ રહી
મહેસાણાના પાટીદાર પ્લાઝામાં શોર્ટ સર્કિટથી વાયર બળી જતાં બે દિવસ સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો. બીજા દિવસ સુધી વાયર બદલવાની કામગીરી ચાલુ હોઇ આ દરમિયાન ચારથી પાંચ પાર્લર, સ્ટોરમાં કુલીંગ બંધ રહેતાં આઈસ્ક્રીમ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓના વેપારને અસર થઇ હતી. શહેરના ગાંધીનગર લીંક રોડ પર દેલા વસાહત ચોકડી સ્થિત પાટીદાર પ્લાઝામાં શનિવારે પ્રથમ માળે જવાની સીડીના વાયરમાં શોર્ટ સર્કિટથી આગ લાગતાં કોમ્પલેક્ષના વાયર બળી ગયા હતા અને વીજ પુરવઠો બંધ થયો હતો. વેપારી સંજયકુમાર પટેલે કહ્યું કે, રવિવારે ઇલેકટ્રીશિયનને બોલાવીને નવા વાયરિંગનું કામ ચાલી રહ્યું છે. જોકે, ખાણી-પીણીના પાર્લરમાં માલ સામાનની વધુ અસર થઇ છે. ઉપરાંત, પાલોદર બાયપાસ પાસે રોડની બાજુની સાઈડમાં ઝાડ સળગવા અને ઘાસમાં આગ લાગતાં મહેસાણા ફાયર ટીમે આગ બુઝાવી હતી.
ગંભીર અકસ્માત સર્જાયો:સમોજા રોડ પર ઇકોની અડફેટે બાઈકસવાર પિતા-પુત્રને ઇજા
વડનગરના સિપોરથી સમોજા રોડના વળાંકમાં ઇકોની ટક્કર વાગતાં કુડા ગામના બાઈકસવાર પિતા-પુત્રને ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજાઓ થઇ હતી. ખેરાલુના કુડા ગામના નિકુંજકુમાર સુથાર ગત 27 ફેબ્રુઆરીએ બપોરે સિપોર ચોકડીથી તેમના પિતાને બાઈક પર બેસાડીને સુથારી કામ માટે સેમોજા તરફ જઈ રહ્યા હતા. તે સમયે સિપોર-સમોજા રોડના વળાંક પાસે સેમોજા તરફથી આવી રહેલી ઇકો ગાડી (GJ 01 KH 8261) બાઈક સાથે અથડાતાં પિતા-પુત્ર બંને રોડ પર નીચે પડી ગયા હતા. બંનેને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે મહેસાણા રીફર કરાયા હતા. અકસ્માતમાં નિકુંજ સુથારને ડાબા હાથના કાંડા પર ફ્રેક્ચર તથા શરીરે ગંભીર ઇજાઓ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યારે તેમના પિતા ગણપતભાઈ સુથારને ડાબા હાથના કાંડા પર ફ્રેક્ચર તથા શરીરે નાની-મોટી ઇજાઓ થતાં સારવાર બાદ રજા અપાઇ હતી.
વાયડ જૂથ અથડામણ કેસ:વાયડમાં અથડામણમાં સામસામે 51 સામે ફરિયાદ
સરસ્વતી તાલુકાના વાયડ ગામે લગ્નનો વરઘોડો કાઢવા મામલે થયેલી જૂથ અથડામણમાં સામેસામે 51 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.પોલીસે બંને પક્ષોના 36 આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલામાં પૃથ્વીરાજ ગેમરજી રાઠોડે 47 શખ્સો સામે જ્યારે જાલમસિંહ બાબુજી જાદવે 4 શખ્સો સામે નામજોગ સરસ્વતી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને પક્ષના 36 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓને સોમવારે કોર્ટમાં રજૂ કરાશે. પોલીસે તપાસના ભાગરૂપે એફએસએલ અધિકારીની હાજરીમાં ઘટના સ્થળે પંચનામું કર્યું છે જ્યારે ઘટના સમયે ઉપયોગમાં લેવાયેલા હથિયારો અને કપડાં જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે તેવું સરસ્વતી પીઆઇ ડી.ડી.ચૌધરીએ જણાવ્યું હતું.
હુકમની અમલવારી કરવા સીઓને તાકીદ:કચરાના પ્લાન્ટનો વર્ક ઓર્ડર આપવા પ્રાદેશિક કમિશ્નરનો સીઓને આદેશ
પાટણ નગરપાલિકામાં સૂકા-ભીના કચરાના પ્રોસેસિંગ પ્લાન્ટના ટેન્ડરનો વિવાદ છેલ્લા 6 મહિનાથી શમવાનું નામ નથી લઈ રહ્યો. આ મામલે ગાંધીનગર પ્રાદેશિક કમિશનર કચેરીએ સીધો હસ્તક્ષેપ કરી પાટણ ચીફ ઓફિસરને કડક આદેશ જારી કરીને નાગેશ કોર્પોરેશનને વર્ક ઓર્ડર આપવા બાબતે 258(1) હેઠળના હુકમની અમલવારી કરવા તાકીદ કરી છે. પ્રાદેશિક કમિશનર (ગાંધીનગર ઝોન) દ્વારા ગત 27 ફેબ્રુઆરીના રોજ ગુજરાત નગરપાલિકા અધિનિયમ-1963ની કલમ-258(1) હેઠળ નાગેશ કોર્પોરેશનના ટેન્ડર સંદર્ભે મહત્વનો હુકમ કરવામાં આવ્યો હતો. આમ છતાં, પાલિકા તંત્ર દ્વારા અમલવારીમાં વિલંબ કરાતા અરજદારે 5, 6 અને 9 માર્ચના રોજ સતત રજૂઆતો કરી હતી. આ મામલે હવે મનોજ સોલંકી (ચીફ ઓફિસર, વર્ગ-1) દ્વારા સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે કે કમિશનરના આદેશ મુજબની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરી અહેવાલ રજૂ કરવો જણાવ્યું છે તેવું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.
રાહવીર યોજનાનું સુરસુરિયું:તંત્રની ઉદાસીનતાને કારણે રાહવીર યોજના કાગળ પર
માર્ગ અકસ્માતમાં ઘાયલોનો જીવ બચાવવા માટે સરકાર રાહવીર યોજના હેઠળ પ્રોત્સાહન પૂરું પાડે છે, પરંતુ પાટણ જિલ્લામાં વહીવટી તંત્રની ઉદાસીનતાને કારણે આ યોજના માત્ર કાગળ પર રહી ગઈ હોય તેવું જણાય છે. છેલ્લા એક વર્ષમાં જિલ્લામાં નોંધાયેલા 300 અકસ્માતોમાં 132 લોકોએ જીવ ગુમાવ્યા છે, છતાં પોલીસ અને આરોગ્ય વિભાગના સંકલનના અભાવે એક પણ વ્યક્તિને ‘રાહવીર’ તરીકે પુરસ્કાર મળ્યો નથી. સરકારે મદદગાર વ્યક્તિ માટેની પ્રોત્સાહન રકમ રૂ.5,000 થી વધારીને રૂ.25,000 કરી છે, જેથી લોકો પોલીસ કનડગતના ડર વગર મદદ કરવા પ્રેરાય. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ, અકસ્માતમાં મદદ કરનાર વ્યક્તિને સાક્ષી બનવા દબાણ કરી શકાતું નથી કે તેની ઓળખ જાહેર કરવામાં આવતી નથી. પાટણ એઆરટીઓ જે. કે. મોઢે જણાવ્યું કે, જો પોલીસ અને મેડિકલ ઓફિસર દ્વારા દરખાસ્ત તૈયાર કરી આરટીઓ કચેરીને મોકલવામાં આવે, તો તુરંત રકમ ચૂકવવામાં આવશે. હાલમાં તંત્ર વચ્ચેના સંકલનના અભાવે યોગ્ય વ્યક્તિઓ સુધી આ યોજનાનો લાભ પહોંચી રહ્યો નથી.
ફરાર આરોપી ઝડપાયા:છેતરપિંડી અને ભરણપોષણના ગુનામાં ફરાર ત્રણ શખ્સો ઝબ્બે
પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયીની સૂચનાથી નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે શરૂ કરાયેલી ઝુંબેશ અંતર્ગત સાંતલપુર અને સમી પોલીસે બાતમી આધારે મહેસાણા કોર્ટ અને રાધનપુર ફેમિલી કોર્ટના સજા વોરંટના ગુનામાં છેલ્લા ઘણા સમયથી પોલીસને થાપ આપી રહેલા 3 શખ્સોને પકડી પાડી જેલ હવાલે કરવામાં આવ્યા છે. મહેસાણા કોર્ટમાં નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 (ચેક રિટર્ન) મુજબ રૂ.1,41,194 ભરવામાં નિષ્ફળ જતા કોર્ટે અરજણભાઈ ભચાભાઈ આહીરને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી. સાંતલપુર પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.રાધનપુર ફેમિલી કોર્ટમાં ભરણપોષણની રૂ.29,000ની રકમ ન ચૂકવતા અમરતભાઈ ભલાભાઈ ગોહિલને 210 દિવસની સાદી કેદની સજા ફટકારી હતી. પોલીસે આરોપીને વોરંટ હેઠળ છાણસરા ગામેથી પકડાયા હતા. સમી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. એ.પી. જાડેજાની ટીમે બાતમીના આધારે ગુજરવાડા ગામેથી સજા પામેલ આરોપી ઓડ જેસંગભાઇ કોરશીભાઇને દબોચી લીધો હતો. જેની સામે મહેસાણા કોર્ટના ફોજદારી કેસમાં સજા વોરંટ ઇશ્યુ થયા બાદ તેઓ નાસતા ફરતા હતા, જેમને હવે કાયદાના સકંજામાં લેવામાં આવ્યા છે.
રેલવે મેનેજરને રજૂઆત:રણુંજ-બહુચરાજી બ્રોડગેજ લાઈન પર જૂના ટાઈમ ટેબલ મુજબ ત્રણ ટ્રેનો દોડાવવા માંગ
કટોસણ-બહુચરાજી-રણું જ બ્રોડગેજ રેલવે લાઈનનું કામ પૂર્ણ થયાને સમય વીતવા છતાં પેસેન્જર ટ્રેનોના અભાવે મુસાફરો હેરાન થઈ રહ્યા છે. આ મામલે પેસેન્જર એસોસિએશન રણુંજ દ્વારા અમદાવાદના ડીવીઝનલ રેલવે મેનેજરને રજૂઆત કરી છે. પેસેન્જર એસોસિએશન રણુંજ દ્વારા કટોસણ,બહુચરાજી અને રણુંજ રેલવે લાઇન ઉપર જુના ટાઈમ ટેબલ મુજબ ત્રણ ટ્રેનો શરૂ કરવા માંગ કરવામાં આવી છે. એસોસિએશનના ઉપપ્રમુખ દર્શન પ્રજાપતિએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન બાદ આ લાઈન પર માત્ર માલગાડીઓ જ દોડી રહી છે.જે લોકહિતમાં નથી.આગામી સમયમાં સુપ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી ખાતે ચૈત્રી પૂનમનો લોકમેળો ભરાનાર છે, જેમાં લાખો ભક્તો ઉમટી પડશે. ભૂતકાળમાં રેલવે તંત્ર અમદાવાદ અને પાટણથી સ્પેશિયલ ટ્રેનો દોડાવતું હતું, જેનો લાભ હજારો મુસાફરોને મળતો હતો. ધર્મપ્રેમી જનતાની લાગણીને માન આપી જુના ટાઈમ-ટેબલ મુજબ 3 ટ્રેનો શરૂ કરવી જોઈએ.નવી બ્રોડગેજ લાઈન તૈયાર હોવા છતાં ટ્રેન સેવા શરૂ ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં માત્ર માલગાડીઓ જ દોડે છે. જો મેળા પહેલાં ટ્રેન સેવા શરૂ નહીં થાય તો શ્રદ્ધાળુઓએ ખાનગી વાહનોમાં મોંઘું ભાડું ચૂકવવું પડે નહિ. પ્રમુખ રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે અગાઉ પ્રસિદ્ધ યાત્રાધામ બેચરાજીના ચૈત્રી પૂનમના મેળામાં જવા માટે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવતી હતી. જો આ ટ્રેનો ફરી શરૂ થાય તો આજુબાજુના 25 થી વધારે ગામડાના શ્રદ્ધાળુઓને નજીવા ભાડાંમાં મા બહુચરના ધામમાં જવાનો લાભ મળશે.
દારૂ ઝડપાયો:ટવામાં કારના ચોરખાનામાંથી 2.58 લાખનો દારૂ સાથે બૂટલેગર ઝડપાયો
પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારના ટવા ગામેથી રેનોલ્ડ કંપનીની ડસ્ટર ગાડીમાં લઈ જવાતો રૂા. 258405નો વિદેશી દારૂ મળી કુલ રૂા. 6610055નો મુદ્દામાલ છોટાઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો હતો. છોટાઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીઓ પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમિયાન પીઆઈ દ્વારા ટેલિફોનિક જાણ કરાઈ હતી કે ટવા ગામે એક સફેદ કલરની રેનોલ્ડ કંપનીની ડસ્ટર ફોરવીલર ગાડીનો ચાલક ભારતીય બનાવટનો વગર પરમિટેડ વિદેશી દારૂ ભરીને આવે છે. જે આધારે વર્ણન વાળી કાર આવતા તેને રોકીને કોર્ડન કરી ઉભી રખાવી ગાડીના ચાલકને પકડી પાડ્યો હતો. કારમાં જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો મળી આવ્યો હતો. જેમાં વિદેશી દારૂની બોટલ નંગ 805 જેની કિંમત રૂા.258405 તથા કારની કિંમત રૂા. 4 લાખ તથા રોકડા રૂા. 650, એક મોબાઈલ નંગ રૂા. 2000 સહિત કુલ રૂા. 661055નો મુદ્દા માલ કબજે કરાયો છે. નરેશભાઈ બોધાભાઈ પરમાર રહે. પ્રભુદાસ રૂવાપરી રોડ ફાયર સ્ટેશન પાછળ ભાવનગરને પકડી પાડ્યો હતો.
છોટાઉદેપુર રાઠ વિસ્તારમાં પ્રજાને પૂરતું પાણી મળી રહે તે માટે નદી ઉપર ચેકડેમ બનાવવા માટે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ સરકારમાં પત્ર લખી તથા રૂબરૂ રજૂઆત કરી માંગ કરી હતી. જે માંગ સરકારે સ્વીકારી આદિવાસી પંથકની પ્રજાને સમસ્યાનો સામનો ન કરવો પડે, ખેડૂતોને પાણી મળી રહે અને કપરા ઉનાળામાં પાણીની તકલીફ ન પડે તે માટે પ્રાધાન્ય આપીને ત્રણ નવા ચેકડેમ મંજૂર કર્યા છે. જેમાં કટારવાટમાં રૂા.3.41 કરોડ, નાના રામપુરામાં રૂા.1.59 કરોડ જ્યારે દડીગામમાં રૂા.1.12 કરોડ, આમ કુલ રૂા.6.12 કરોડના ચેકડેમ મંજૂર કરાયા છે. ઉનાળા દરમિયાન પ્રજાને પડતી પાણીની તકલીફો અને ખેડૂતોને ભોગવવી પડતી મુશ્કેલીને ધ્યાને રાખીને છોટાઉદેપુર ધારાસભ્યે સરકારમાં રજૂઆત કરી હતી કે અમારા વિસ્તારમાં લોકોને પાણીની તકલીફ ન પડે તે માટે નદીઓ ઉપર ચેકડેમો બનાવવામાં આવે. જે ચેકડેમો ખરાબ થઇ ગયા છે તેને રિપેરિંગ કરવામાં આવે. આ રજૂઆતોને પગલે ત્રણ નવા મંજૂર કરતાં આનંદની લાગણી ફેલાઇ છે. ગ્રામીણ પ્રજાને પાણીની તકલીફ ન થાય તેવા પ્રયાસ સરકારને કરેલ રજૂઆતમાં ધારાસભ્યે છોટાઉદેપુરના વીરપુર, અછાલા, વિજોલ, તથા જલોદા, મુળધર, જામલા, દડી ગામ, કટારવાટમાં નવા ચેકડેમ બનાવવા માટે રજૂઆત કરી હતી. જેમાં ત્રણ ચેક ડેમ મંજૂર થયા છે. જ્યારે કડાછલા, મોટા અમાદરા, ધોળજ, શેરપુરા, ભીંડોલ, અળસીપુર, વચલીભીત, લેવહાટ, ગુનાટા, ગામોમાં નદીઓ ઉપર રિપેરિંગ કરવામાં આવે તો આસપાસના ઘણા ગામોને પણ પાણી મળી રહે તે માટે પણ રજૂઆત કરાઇ છે. ગ્રામીણ વિસ્તારની પ્રજાને પાણીની તકલીફ ન થાય અને અંત આવે તેવા પ્રયાસ કરી પ્રજાની ચિંતા કરી છે.
ભક્તો આપે ધ્યાન:તા.19 માર્ચથી શરૂ થતી ચૈત્રી નવરાત્રીમાં પાવાગઢ મંદિરમાં દર્શનમાં ફેરફાર કરાયો
શક્તિ ઉપાસનાનું મહાપર્વ એટલે ચૈત્રી નવરાત્રી 19મી માર્ચથી શરૂ થઈ રહી છે. ત્યારે નવરાત્રીના પાવન દિવસોમાં યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ મંદિર ખાતે ચૈત્રી નવરાત્રીમાં ભક્તોનાં ધસારાને પહોંચી વળવા અને કોઈ તકલીફ વિના સરળ રીતે મા મહાકાળીના દર્શન થઈ શકે તેમજ સુવિધાઓ મળી રહે તેવા હેતુથી પંચમહાલ વહીવટી તંત્ર અને મંદીર પ્રસાસન દ્વારા તૈયારીઓ કરી રહ્યું છે. ચૈત્રી નવરાત્રી નિમિત્તે પાવાગઢ ખાતે ભક્તોની સુવિધા માટે રોપ-વે અને મંદિરના સમયમાં ફેરફાર કરાયો છે. શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન માટે ખાસ સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. આ સમયપત્રક 17 માર્ચથી 2 એપ્રિલ સુધી અમલમાં રહેશે. જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, સામાન્ય દિવસોમાં મંદિર સવારે 6:00 વાગ્યે ખુલશે અને સાંજે 8:00 વાગ્યે બંધ થશે. જ્યારે રવિવાર તેમજ ખાસ તિથિના દિવસે ભક્તોની ભીડ વધવાની શક્યતા હોવાથી મંદિર સવારે 5:00 વાગ્યે ખુલશે અને સાંજે 8:00 વાગ્યે બંધ થશે. નવરાત્રીના 9 દિવસ ગુજરાત સહિત મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી પણ લાખ્ખોની સંખ્યામાં આવતા ભક્તોને અગવડ ન પડે તે માટે પાવાગઢ તળેટીથી ઉપર તરફ ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. બીજી તરફ ભક્તોને પીવાનું પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ યોગ્ય રીતે મળી રહે તે માટે પણ જિલ્લા પ્રસાસન દ્વારા વિષેશ વ્યવસ્થા કરી છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન મંદિર દર્શનનો સમય તિથિના દિવસે રોપ-વે 5 કલાકે શરૂ થશે ઉષા બ્રેકો કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે નવરાત્રીના પ્રથમ દિવસથી જ રોપ-વેના સમયમાં ફેરફાર અમલી બનશે. એકમ, ચોથ , આઠમ, અગિયારસ, પૂનમે ધસારો રહેતો હોય છે. આ 5 દિવસો દરમિયાન વહેલી સવારે 4:00 કલાકે ટિકિટ કાઉન્ટર ખોલી દેવાશે. સવારે 5:00 કલાકે રોપ-વે ટ્રોલી ભક્તો માટે શરૂ કરી દેવાશે. જ્યારે બાકીના સામાન્ય દિવસોમાં સવારે 5:00 કલાકે કાઉન્ટર ખુલશે અને 6:00 વાગ્યાથી રોપ-વે સેવા કાર્યરત થશે.
આત્મહત્યા:દેવરીયા ગામે પરપ્રાંતિય યુવાને અગમ્ય કારણોસર ફાંસો ખાધો
ખંભાળિયાના દેવરીયા ગામે પરપ્રાંતીય યુવકે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે કારણ જાણવા માટે તપાસ હાથ ધરી પરિવારજનો, પાડોશીની પૂછપરછ હાથ ધરી છે. ખંભાળિયા તાલુકાના દેવલિયા ગામમાં રહેતા પરપ્રાંતિય યુવાન અવધેશકુમાર વકીલસિંહ (ઉંમર 24)એ અજાણ્યા કારણોસર પોતાના નિવાસ સ્થાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ ગઈકાલે શનિવારે દેવલિયા ગામ ખાતે આવેલા પોતાના રહેઠાણમાં અવધેશકુમાર વકીલસિંહે કોઈ અકળ કારણસર આ પગલું ભર્યું હતું. બાદમાં પરિવારજનો અને આસપાસના લોકોએ તેમના રૂમમાં નિષ્પ્રાણ હાલતમાં લટકતો દેહ જોયો હતો. ઘટનાની જાણ થતાં વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ બનાવ અંગે દેવલિયા ગામના પપ્પુ ઉર્ફે રણજીતસિંહ (ઉંમર 50) દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી તેમજ મૃતદેહને આગળની પ્રક્રિયા માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અકસ્મત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે અને યુવાને આત્મહત્યા કરવાનું કારણ શું હતું તે જાણવા તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
આત્મહત્યા:કામ ધંધો ન કરતા ઠપકો આપતા યુવાનનો આપઘાત
ભાણવડ તાલુકાના પાછતરડી ગામે તામશી મગજના યુવાન કોઈ કામધંધો કરતો ન હોય. આ બાબતે ઘરના સભ્યોએ તેને ઠપકો આપતા લાગ ી આવતા તેણે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે. ભાણવડ તાલુકાના પાછતરડી ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ગામમાં રહેતા મુરૂભાઈ હમીરભાઈ કોડીયાતર (ઉંમર અંદાજે 27 વર્ષ) હોવાનું જાણવા મળે છે. પરિવારજનોના જણાવ્યા મુજબ તેઓ સ્વભાવથી થોડા ઉગ્ર અને તામસી મિજાજના હતા. તેઓ કોઈ નિયમિત કામધંધો કરતા ન હોવાથી ઘરના સભ્યો વારંવાર તેમને કામકાજ કરવા માટે સમજાવતા અને મીઠો ટપકારો આપતા હતા. આ બાબત મનમાં લાગી આવતા અને માનસિક રીતે વ્યથિત બની ગયેલા મુરૂભાઈએ ગઈકાલે શનિવારના રોજ પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. ઘટના સામે આવતા પરિવારજનો અને ગામમાં શોકનો માહોલ ફેલાયો હતો. આ બનાવ અંગે દેવાભાઈ રાણાભાઈ કોડીયાતર દ્વારા ભાણવડ પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળે છે. આ બનાવથી નાના એવા પાછતરડી ગામમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું છે. પરિવારજનો પણ હજુ આ ઘટનાને માની શકતા નથી. ત્યારે પોલીસ તપાસમાં લાગી ગઈ છે.
અકસ્માતની ભીતિ:હેરંજ બ્રિજનું ડાયવર્ઝન ભારદારી વાહનો માટે જોખમી બન્યું
મહુધાના હેરંજ પાટિયા નજીક શેઢી નદી પર ચાલી રહેલ નવીન પુલ બનાવવાની કામગીરીને લઈ વાહનોની અવરજવર ચાલુ રાખવા અપાયેલ વધુ પડતી ડીપ અને સાંકડા ડાઇવર્ઝન લઈ શનિવારની રાત્રિના બટાકાના કટ્ટા ભરેલ ભારદારી ટ્રક વધુ પડતાં ડીપ અને સાંકડા ડાઇવર્ઝનના પગલે નદીમાં ખાબકી હતી. કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહેલ હેરંજ પાટિયા નજીકનો શેઢી નદી પરનાં બ્રિજમાં વાહનોની અવરજવર ચાલુ રાખવા રસ્તામાં બનાવેલ ડાઇવર્ઝન વાહન ચાલકો માટે જોખમી અને જીવલેણ બની રહ્યો છે.શુક્રવારના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ એક માલસામાન ભરેલ ટ્રક અલીનાથી પણસોરા તરફ જતા સમયે ડાયવર્ઝનમાં વધુ પડતી ઊંડાઈ ને લઈ બીજી તરફ ઢાળ ચઢી ન શકતા અવારનવાર ઢાળ ચઢવાનો પ્રયાસ કરતાં ટ્રેકની એક્સેલ તૂટી ગઈ હતી.અને ટ્રક ડાઇવર્ઝનની ડીપમાં વચ્ચે જ ખોટકાતા ડાયવર્ઝનની બંને તરફ બે થી ત્રણ કિમી જેટલી વાહનોની લાઈન લાગી હતી. બીજી તરફ કાળઝાળ ગરમી વચ્ચે વાહન ચાલકો અને વાહનમાં બેઠેલા પેસેન્જરોને તપવાનો વખત આવ્યો હતો.જોકે સમય જતાં આખરે ક્રેન મારફતે ટ્રકને બહાર કાઢી ટ્રાફિક ખુલ્લો કરવામાં આવ્યો હતો.ત્યારે બીજા દિવસ શનિવારની રાત્રિના વધુ પડતી ઊંડાઈ અને સાંકડા ડાયવર્ઝનનાં પગલે એક બટાકાના કટ્ટા ભરેલ ટ્રક નદીમાં ખાબકી હતી.
અકસ્માત સર્જાયો:વ્યારાના ઉનાઈ નાકે બાઈકની અડફેટે મહિલાને ગંભીર ઈજા
વ્યારા શહેરના ઉનાઈ નાકા વિસ્તારમાં શનિવારે સાંજે બનેલા માર્ગ અકસ્માતમાં એક મહિલાને ગંભીર ઇજા થતાં તેને વધુ સારવાર માટે સુરત રિફર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વ્યારા શહેરના વેગી ફળીયામાં રહેતા અંકિતકુમાર ચંદ્રેશભાઈ ચૌધરીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની કુંટુંબીક સગા જમનાબેન રાજુભાઈ ચૌધરી શનિવારીના બજારમાં ખરીદી કરવા ઉનાઈ નાકા વિસ્તારમાં ગયા હતા. ખરીદી કરી પરત વેગી ફળીયા તરફ આવતાં તેઓ રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે મિશન નાકાથી ઉનાઈ રોડ તરફ પૂરઝડપે આવી રહેલી બાઈક તેમની અડફેટે આવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં જમનાબેનને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થઈ ફેક્ચર થયું હતું તેમજ ડાબા કાનમાંથી લોહી નીકળતું હતું. ઉપરાંત બન્ને ઘૂંટણના ભાગે ઘસરકા અને શરીરના અન્ય ભાગે પણ ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને તરત જ વ્યારા જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ફરજ પરના તબીબોએ પ્રાથમિક સારવાર આપ્યા બાદ હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સુરત ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી આવ્યું છે.
વસતી ગણતરી 19 એપ્રિલ 2026થી શરૂ થશે. સામાન્ય રીતે દર 10 વર્ષે થતી જનગણના કોરોના મહામારીના કારણે 2021માં થઈ શકી નહોતી, તેથી હવે તે ડિજિટલ સ્વરૂપે કરવામાં આવી રહી છે. જિલ્લામાં અંદાજિત 4 હજાર વધુ અધિકારીઓ-કર્મચારીઓ આ કામગીરીમાં જોડાશે. નિયમ મુજબ લગભગ 700થી 800 લોકોની વસ્તી દીઠ એક ગણતરીદાર નીમવામાં આવશે. તમામ કર્મચારીઓ મોબાઇલ એપ દ્વારા ઘર-ઘર જઈને રિયલ ટાઇમ ડેટા એકત્ર કરશે, જે ડેટા સીધો સર્વર પર અપલોડ થશે. પ્રારંભિક અંદાજ પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં વસ્તી 36 લાખ સુધી પહોંચી શકે છે. આ જનગણનામાં પ્રથમ વખત સંપૂર્ણ પ્રક્રિયા ડિજિટલ માધ્યમથી થશે. નાગરિકોને સ્વ-ગણતરી (Self Enumeration) કરવાની પણ તક મળશે. આ ઉપરાંત આ વખતે પહેલીવાર સ્વ-ગણતરીનો વિકલ્પડિજિટલ જનગણના 2027માં નાગરિકોને સ્વ-ગણતરીનો વિકલ્પ પણ આપવામાં આવશે. નક્કી કરેલા સમયગાળા દરમિયાન આધિકારિક જનગણના પોર્ટલ પર મોબાઇલ નંબર અથવા આધાર આધારિત OTP દ્વારા લોગિન કરી પરિવારની માહિતી પોતે ભરવી પડશે. આ માહિતીમાં પરિવારના સભ્યોની સંખ્યા, ઉંમર, લિંગ, શિક્ષણ, વ્યવસાય, આવાસ અને સુવિધાઓ જેવી વિગતો સામેલ રહેશે. સફળ સબમિશન પછી રજિસ્ટ્રેશન નંબર મળશે, જેને ભવિષ્ય માટે સુરક્ષિત રાખવું પડશે. બે તબક્કામાં થશે જનગણના લોકો પાસેથી પૂછવામાં આવશે33 પ્રશ્ન આગામી જનગણનામાં દરેક પરિવારને 33 પ્રશ્નો પૂછવામાં આવશે. તેમાં પરિવારના સભ્યોની સંખ્યા, ઉંમર, લિંગ, વૈવાહિક સ્થિતિ, શિક્ષણ, વ્યવસાય, જન્મસ્થાન, સ્થળાંતર, માતા-પિતાની વિગતો, દિવ્યાંગતા અથવા સામાજિક વર્ગ જેવી માહિતી સામેલ રહેશે. ઘરના પ્રકાર, પાણી, શૌચાલય, વીજળી, રસોઈ ઈંધણ અને ઈન્ટરનેટ જેવી સુવિધાઓ વિશે પણ પ્રશ્નો પૂછાશે. મેપ પર દરેક ઘર ડિજિ ડોટ બનશે જેના ફાયદા1. આપદા વ્યવસ્થાપનમાં મદદ : જિયો-ટેગિંગથી ગામ-શહેરના બદલાતા પેટર્ન અંગે માહિતી મળશે. 2. ચૂંટણીમાં સહાય : સંસદ અને વિધાનસભા વિસ્તારની સીમાઓ નક્કી કરવા માટે જનગણના આધાર બનશે. 3. શહેરી આયોજન : સ્કૂલ, હોસ્પિટલ, પાર્ક વગેરે માટે પ્લાનિંગમાં મદદ મળશે. 4. માઇગ્રેશન ટ્રેકિંગ : જનગણનામાં બદલાવથી શહેરીકરણ દર અને સ્થળાંતર પેટર્ન સમજાશે.5. મતદાર યાદી વધુ મજબૂત : જિયો-ટેગિંગ અને આધાર આધારિત ડિજિટલ નામો વોટર લિસ્ટ મજબૂત બનાવશે. ધર્મ મુજબ વસતી જિલ્લા તાલુકા વાઈઝ વસ્તી (૨૦૧૧)
શહેરના વસ્ત્રાપુરમાં નિવૃત ડીજીના ઘરે ઘરઘાટીએ ચોરી કરી હોવાનો બનાવ બન્યો છે.ગોયલ ઇન્ટરસિટીમાં રહેતા નિવૃત ડીજીના પુત્ર લાયસન્સવાળી પિસ્ટલ અને રાઉન્ડ જમા કરાવવા જવાના હતા પરંતુ આ હથિયાર કબાટમાંથી ગાયબ હતા જેથી તેમણે ઘરઘાટીને પૂછતા તેણે અજાણ હોવાનું જણાવ્યું હતું.જ્યારે પોલીસને જાણ કરવામાં આવી ત્યારે પોલીસે ઘરઘાટી પર શંકા રાખીને પૂછપરછ કરતા તેણે હથિયાર ચોરી કર્યાની કબૂલાત કરી હતી. લાઈસન્સ વાળી પિસ્ટલની ચોરી થઈ હતીવસ્ત્રાપુરમાં આવેલા ગોયલ ઇન્ટરસિટીમાં રહેતા અમનદિપસિંગ રિટાયર્ડ ડીજી ગુરુદયાલસિંગના પુત્ર છે.અમનદિપસિંગ ગૌશાળા ધરાવીને દૂધ અને ઘીનો વેપાર કરે છે.અમનદીપસિંગની માતાએ વર્ષ 2004માં સ્વરક્ષણ માટે લાયસન્સ વાળી કોલ્ટ પોઇન્ટ 25 પિસ્ટલ ખરીદી હતી.અમનદિપસિંગના ઘરે પહેલા ઘરકામ માટે એક મહિલા કામ કરતી હતી. પરંતુ તે બે માસથી આવતી ન હોવાથી તેમણે ઓળખીતા દ્વારા મહીપાલસિંહ સીસોદીયા (રહે. રાજસ્થાન)ને 15 હજારના પગારે નોકરીએ રાખ્યો હતો.મહિપાલસિંહ બે માસથી મકાનમાલિક અમનદિપસિંગના ઘરે જ રહેતો હતો. થોડા દિવસ પહેલા હથિયાર ડીલરને જમા કરાવવાનું હોવાથી અમનદિપસિંગ કબાટમાંથી હથિયાર લેવા જતા પિસ્ટલ અને રાઉન્ડ મળી આવ્યા નહોતા. હોળી સમયે વતનમાં રોલો પાડવા હથિયારની ચોરી કર્યાની કબૂલાતઘરઘાટી મહિપાલસિંહને હથિયાર બાબતે પૂછતા તેણે અજાણ હોવાનું જણાવ્યુ હતું.જેથી અમનદીપસિંગે પોલીસને જાણ કરી હતી.પોલીસે ઘરઘાટી મહિપાલસિંહની ઉંડાણપુર્વક પૂછપરછ કરતા ઘરઘાટી મહિપાલસિંહ સીસોદીયાએ ચોરી કર્યાની કબૂલાત કરી હતી.આરોપી હથિયાર ચોરી કરીને હોળી સમયે વતન રાજસ્થાન ગયો હતો.ત્યારે ત્યાંના મકાનમાં હથિયાર મૂકી દીધા હતા. વતનમાં હથિયાર સાથે રોલો પાડવા અને ફોટો પડાવાવવાનો શોખ પૂરો કરવા ચોરી કર્યાની કબૂલાત કરી છે.
સુરતના વરિયાવ સ્થિત કલાકૃતિ લોન ખાતે દિવ્ય અને આધ્યાત્મિક વાતાવરણમાં આયોજિત સમારોહમાં શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન (SRKKF)ના નેજા હેઠળ દંડકારણ્યની ભૂમિ ડાંગ જિલ્લાના 311 ગામોમાં હનુમાનજી મંદિર અને હનુમાન ભવન (કોમ્યુનિટી હોલ) નિર્માણ કરવાનો પવિત્ર સંકલ્પ કરનાર રાજ્યસભા સાંસદ અને અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાનું મહાનુભાવો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, આ તકે ગોવિંદ ધોળકિયાએ ડાંગથી આગળ વધી રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં વધુ 1111 હનુમાનજી મંદિર નિર્માણની જાહેરાત કરતા તેમના આ પવિત્ર સંકલ્પને ઉપસ્થિત પૂર્વ રાષ્ટ્રપતિ, રાજ્યપાલ સહિત તમામ મહાનુભાવોએ હર્ષનાદ સાથે વધાવવામાં આવ્યા હતા. આધ્યાત્મિક વિચારો જ સમાજને કુરીતિઓમાંથી મુક્ત કરવાનું સામર્થ્ય ધરાવે છેઃ રાજ્યપાલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગોવિંદ ધોળકિયાના સેવાકીય અભિગમને બિરદાવતા કહ્યું હતું કે, ધર્મો રક્ષતિ રક્ષિતઃ ના સૂત્રને ચરિતાર્થ કરતા આ કાર્યથી આવનારી પેઢીને સંસ્કાર અને માર્ગદર્શન મળશે. ગોવિંદભાઈ અને તેમની સહયોગી દાતા ટીમ દ્વારા સંસ્કૃતિના સંવર્ધન માટે કરવામાં આવતું કાર્ય અભિનંદનીય છે. દિવાસી વિસ્તારોમાં નિર્મિત હનુમાનજી મંદિરો માત્ર સિમેન્ટ-કોંક્રિટના ભવનો નથી, પરંતુ તે વિચારોની અગ્નિ અને જ્ઞાનના પ્રકાશ કેન્દ્રો બન્યા છે. આદિવાસી વિસ્તારોમાં હનુમાન મંદિર પરિસરમાં થતા ભજન-કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમોને કારણે નવી પેઢી વ્યસનોથી મુક્ત થઈ રહી છે અને ભારતીય જીવનમૂલ્યો તરફ વળી રહી છે. આધ્યાત્મિક વિચારો જ સમાજને કુરીતિઓમાંથી મુક્ત કરવાનું સામર્થ્ય ધરાવે છે. ‘નમ્રતા અને સેવાભાવ જ માનવીને આદર અપાવે છે’વધુમાં રાજ્યપાલે જણાવ્યું કે, સુકા લાકડા જેવી જડતા ક્યારેય ટકી શકતી નથી, પરંતુ નમ્રતા અને સેવાભાવ જ માનવીને આદર અપાવે છે. રાજ્ય સરકારે ડાંગને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી ધરાવતો જિલ્લો જાહેર કર્યો છે, ત્યારે ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી દ્વારા આવનારી પેઢીનું ભવિષ્ય સુરક્ષિત કરવું એ આપણી નૈતિક જવાબદારી છે. 311 મંદિરોમાંથી 200નું નિર્માણ પૂર્ણઃ ગોવિંદ ધોળકિયા311 મંદિર નિર્માણનો સંકલ્પ લેનાર રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ જણાવ્યું હતું કે, સહયોગી દાતાઓના ટીપમાં 200 પરિવારો મંદિર નિર્માણના યજ્ઞમાં જોડાઈ ગયા છે. 311 મંદિરો પૈકી 200 મંદિરોનું નિર્માણ પૂર્ણ થઈ ચૂક્યું છે, જેમાં 175 મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ ચૂકી છે. હનુમાન મંદિર નિર્માણના પ્રેરણામૂર્તિ ડાંગના પ્રયોશા પ્રતિષ્ઠાનના સંસ્થાપકશ્રી પી.પી.સ્વામીજીએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં મંદિર નિર્માણના યજ્ઞ સમાન કાર્યની રૂપરેખા આપી પ્રસન્નતા વ્યક્ત કરી હતી. ડાંગના ગામેગામ હનુમાનજી ભવનના લોકાર્પણઃ રાકેશ દુધાતદાતા અને અગ્રણી ઉદ્યોગપતિ રાકેશ દુધાતે હતું કે, 2017માં પૂ. પી.પી. સ્વામીજી અને ગોવિંદકાકાના ડાંગ પ્રવાસ દરમિયાન થયેલી ચર્ચા અને આસ્થાના પરિપાક રૂપે 311 હનુમાન મંદિર નિર્માણ ભગીરથ કાર્યનો આરંભ થયો છે. જે અંતર્ગત ડાંગના ગામેગામ હનુમાનજી ભવનના લોકાર્પણ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હાલ ઉજવાઈ રહ્યા છે. આ વેળાએ રામનાથ કોવિંદના હસ્તે શ્રીમદ્દ ભાગવત ગીતાના આદર્શ જીવનસંદેશને જન જન સુધી લઈ જવા માટે શ્રી ગીતા જ્ઞાન રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
બોટાદના જૈન પરિવારે પશુઓ માટે ₹11,000 આપ્યા:લગ્નની વર્ષગાંઠે પાળીયાદ પાંજરાપોળને દાન કર્યું
બોટાદના વતની અને હાલ અમદાવાદમાં ફાઇનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલા ક્રિનાબેન મિતભાઈ વસાણીએ તેમની પ્રથમ લગ્ન વર્ષગાંઠની અનોખી રીતે ઉજવણી કરી હતી. તેમણે પાળીયાદ મહાજન પાંજરાપોળમાં અબોલ પશુઓના ઘાસચારા માટે ₹11,000નું દાન આપ્યું હતું. જીવદયા પ્રેમી ક્રિનાબેન વસાણીએ પાંજરાપોળની વર્તમાન સ્થિતિ અંગે વિચાર્યું હતું. તેમણે નોંધ્યું કે પાળીયાદ મહાજન પાંજરાપોળમાં મોટી સંખ્યામાં અબોલ પશુ-પક્ષીઓ છે અને તેની આવક કરતાં જાવક વધુ છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેમણે આ દાન કરવાનો નિર્ણય લીધો હતો.પાળીયાદ મહાજન પાંજરાપોળ દ્વારા આ રકમ સ્વીકારવામાં આવી હતી. પાંજરાપોળે 'અહિંસા પરમો ધર્મ'ના સૂત્ર સાથે ક્રિનાબેન વસાણીનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમના આ જીવદયા કાર્યને બિરદાવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દાહોદ મુલાકાત આજે માત્ર વિકાસ કાર્યોના લોકાર્પણ પૂરતી મર્યાદિત ન રહેતા રાજકીય દ્રષ્ટિએ અત્યંત સૂચક બની રહી હતી. સિંગવડ ખાતે 367.78 કરોડના વિકાસ કામોની ભેટ આપવા આવેલા મુખ્યમંત્રીના સમગ્ર પ્રવાસ દરમિયાન દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરીયા તેમની સતત નિકટ જોવા મળ્યા હતા. હેલિપેડ પર ઉતરાણથી લઈને પરત વિદાય સુધીના તમામ કાર્યક્રમોમાં સ્નેહલ ધરીયા મુખ્યમંત્રીની ગાડીમાં તેમની સાથે જ સવાર રહેતા જિલ્લાના રાજકીય ગલિયારાઓમાં અટકળોનું બજાર ગરમ થયું છે. હેલિપેડથી સભા સ્થળ સુધીની ગાઢ નિકટતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારે હેલિપેડ પર ઉતર્યા ત્યારે મંત્રીઓ, સાંસદ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે, સૌના આશ્ચર્ય વચ્ચે જ્યારે મુખ્યમંત્રી સભા સ્થળ જવા રવાના થયા ત્યારે તેમની સરકારી ગાડીમાં માત્ર જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરીયા જ તેમની સાથે બેઠેલા જોવા મળ્યા હતા. પ્રોટોકોલ મુજબ સામાન્ય રીતે મંત્રીઓ કે વરિષ્ઠ સચિવો મુખ્યમંત્રીની સાથે મુસાફરી કરતા હોય છે, પરંતુ સંગઠનના પ્રમુખને મળેલી આ વિશેષ પ્રાધાન્યતાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. લોકાર્પણથી સાંસદના નિવાસસ્થાન સુધીનો સાથ મુખ્યમંત્રી સિંગવડ મામલતદાર કચેરીના લોકાર્પણ માટે ગયા ત્યારે પણ સ્નેહલ ધરીયા તેમની પડખે રહ્યા હતા. ત્યારબાદ સાંસદ જશવંતસિંહ ભાભોરના દાસા સ્થિત નિવાસસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં જવા માટે અને ત્યાંથી પરત હેલિપેડ સુધી પહોંચવા સુધીના તમામ રૂટ પર સ્નેહલ ધરીયા મુખ્યમંત્રીની ગાડીમાં જ સાથે રહ્યા હતા. આખા પ્રવાસ દરમિયાન જે રીતે અન્ય નેતાઓને બદલે માત્ર જિલ્લા પ્રમુખને જ આટલી નિકટતા મળી, તેણે રાજકીય ચર્ચાઓને નવો વળાંક આપ્યો છે. બંધ બારણે થયેલી ચર્ચાઓથી અટકળો તેજ મુખ્યમંત્રી અને સ્નેહલ ધરીયા વચ્ચે વાહનમાં મુસાફરી દરમિયાન લાંબો સમય કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ હશે તેને લઈને અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. આગામી સમયમાં સંગઠનમાં થનારા ફેરફારો, જિલ્લાના પડતર પ્રશ્નો કે કોઈ મોટા રાજકીય સમીકરણો અંગે મુખ્યમંત્રીએ સીધું માર્ગદર્શન આપ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સરકારી કાર્યક્રમોની વચ્ચે સંગઠન પ્રમુખની આ પ્રકારે સતત હાજરી દાહોદ ભાજપના આંતરિક રાજકારણમાં સ્નેહલ ધરીયાનું વધતું વર્ચસ્વ દર્શાવે છે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં ગોવર્ધન વસ્તી દ્વારા એક ભવ્ય વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનની મુખ્ય વિશેષતા એ રહી કે જિલ્લામાં પ્રથમ વખત માતૃશક્તિ એટલે કે બહેનો દ્વારા તેનું સંપૂર્ણ આયોજન અને સંચાલન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધાર્મિક ભાવના, સામાજિક એકતા અને સંસ્કૃતિ પ્રત્યેનો ગર્વ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. સંમેલન પૂર્વે બહેનોની આગેવાનીમાં એક વિશાળ બાઈક રેલીનું આયોજન કરાયું હતું. વેરાવળના ટાવર ચોકથી શરૂ થયેલી આ રેલી સંમેલન સ્થળ કપીશ્વર પાર્ટી પ્લોટ સુધી પહોંચી હતી. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતી વખતે જુદા જુદા સમાજ અને સંગઠનો દ્વારા તેનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. બહેનોના ઉત્સાહ અને દેશભક્તિભેર નારા સાથેની આ રેલી શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. વેરાવળ સ્થિત કપીશ્વર પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ સંમેલનમાં અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ નાગરિક સહકારી બેંકના વાઇસ ચેરમેન કાર્તિકેયભાઈ પારેખ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જુનાગઢ વિભાગના કાર્યવાહ જીતેન્દ્રભાઈ સાલસિયા અને વેરાવળ મર્કન્ટાઇલ કો-ઓપ. બેંક લી.ના ડિરેક્ટર બિંદુબેન ચંદ્રાણીએ હિંદુત્વ, સંસ્કાર અને સામાજિક એકતા અંગે પ્રેરક વક્તવ્યો આપ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ભીડીયા માછીમાર સમાજની દીકરીઓએ દંડ સાથેની વિશિષ્ટ કૃતિ રજૂ કરી હતી. આ ઉપરાંત, નાના ભૂલકાઓ દ્વારા લગભગ 15 મિનિટ સુધી સંસ્કૃતના કંઠસ્થ શ્લોકોનું પઠન કરવામાં આવ્યું હતું, જે ઉપસ્થિત સૌ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ પ્રસંગે સમાજ અને વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપતા વ્યક્તિઓનું સન્માન પણ કરાયું હતું. હિન્દુ સંમેલન જેવા કાર્યક્રમોનો મુખ્ય હેતુ ધર્મની સેવા, સંસ્કૃતિનું સંરક્ષણ, સમાજમાં એકતા અને સંસ્કારોનું સંવર્ધન કરવાનો હોય છે. વેરાવળમાં યોજાયેલું આ સંમેલન પણ એ જ ભાવનાને મજબૂત બનાવવાનું મહત્વપૂર્ણ મંચ સાબિત થયું. સમગ્ર આયોજનથી લઈને સંચાલન સુધીની તમામ જવાબદારી બહેનો દ્વારા સફળતાપૂર્વક નિભાવવામાં આવી હતી, જે નારી શક્તિ અને સંગઠન શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
ગોધરામાં ચેટીચંદ પર્વ પૂર્વે ભારતીય સિંધુ સભા યુવા ટીમ દ્વારા 15 માર્ચે સાંજે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સિંધી સમાજના આરાધ્ય દેવ ભગવાન ઝૂલેલાલના જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ રેલીમાં 'જય ઝૂલેલાલ'ના નાદથી શહેરના માર્ગો ગુંજી ઉઠ્યા હતા. બી ફોર ચેટીચંદ ના ઉપલક્ષમાં યોજાયેલી આ રેલીમાં સિંધી સમાજના યુવાનો, બાળકો અને વૃદ્ધો મોટી સંખ્યામાં જોડાયા હતા. આયોજનનો મુખ્ય હેતુ સમાજમાં એકતા અને સંસ્કૃતિનું જતન કરવાનો હતો. રેલીનો પ્રારંભ લાલ બાગ બસ સ્ટેન્ડ ખાતે પરંપરાગત પૂજા-અર્ચના અને ઈષ્ટદેવના આશીર્વાદ સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તે કલાલ દરવાજા, પાંજરાપોળ, એલ.આઇ.સી. રોડ, વિશ્વકર્મા ચોક, સિવિલ હોસ્પિટલ રોડ, બહારપુરા, ભૂરાવવા ચોકડી, પાવર હાઉસ અને ઝૂલેલાલ સોસાયટી સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ હતી. બાઇક રેલીનું સમાપન લાલ બાગ બસ સ્ટેન્ડ ખાતે જ થયું હતું. સેંકડો બાઇક સવારોએ પોતાના વાહનો પર ધર્મધજા લગાવી 'જય ઝૂલેલાલ' અને 'આયો લાલ, ઝૂલેલાલ' ના નારા લગાવ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં રેલીનું પુષ્પવર્ષા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભાવનગરના ભાલ પંથકના જસવંતપુરા ગામમાં જુગારની રેડ કરવા ગયેલા પોલીસકર્મીઓ પર હુમલો થતા બે પોલીસ કોન્સ્ટેબલ અને ડ્રાઈવર ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા છે. પોલીસકર્મીઓ જ્યારે બાતમીના આધારે ગામમાં દરોડો પાડવા ગયા ત્યારે 15 થી 20 લોકોના ટોળાએ લાકડીઓ અને ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલામાં બે પોલીસ કર્મી અને ડ્રાઈવરને ઈજા પહોંચીભાલ પોલીસ સ્ટેશનના જસવંતપુરા ગામમાં પોલીસ પર હુમલાની ઘટનામાં લકીરાજસિંહ મહાવીર સિંહ, અભેસંગભાઈ ભાવસંગભાઈ અને કોન્ટ્રાકટ બેઝ પર ફરજ બજાવતા ડ્રાઇવર સહિતનાઓને ઈજા પહોંચતા સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે. સારવાર માટે ભાવનગર સર.ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. Dysp ,LCB સહિતનો પોલીસ કાફલો પહોંચ્યો બનાવ સ્થળેદિવ્યભાસ્કર સાથે ટેલિફોનિક વાતચીતમાં DYSP આર.આર.સિંધાલ એ જણાવેલ કે વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન પોલીસ કર્મચારીઓ જુગારની રેડ કરવા ગયેલા પોલીસ કર્મીઓ પર અંદાજિત 15 થી 20 લોકો લાકડી અને ઢીકાપાટુનો મારમારી ઈજાઓ કરી હોવાનું જણાવ્યું હતું.
ભાજપ આદિજાતિ મોરચામાં સંગઠનાત્મક ફેરફાર:નવા હોદેદારોની જાહેરાત, વિવિધ જિલ્લાઓને મળ્યું પ્રતિનિધિત્વ
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચામાં સંગઠનાત્મક માળખું મજબૂત કરવા માટે નવા હોદેદારોની નિમણૂક કરવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ ગણપતસિંહ વસાવા દ્વારા જાહેર કરાયેલા આ આદેશ મુજબ પ્રદેશ ઉપાધ્યક્ષ, મહામંત્રી, મંત્રી અને અન્ય હોદેદારોની જાહેરાત કરવામાં આવી છે. આ નિમણૂકો પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તથા સંગઠન મહામંત્રી રત્નાકરજી સાથે ચર્ચા-વિચારણા બાદ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
5 રાજ્યોનો ઓપિનિયન પોલ, બંગાળમાં ભાજપ માટે 'મિશન ઈમ્પોસિબલ', કોંગ્રેસ માટે કપરા ચઢાણ
Assembly Elections Opinion Poll: આજે દેશના 5 રાજ્યોમાં ચૂંટણીનો 'એલાન-એ-જંગ' થઈ ગયો છે. ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરવાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. ત્યારે MATRIZE-IANSના ઓપિનિયન પોલ જાહેર કર્યો છે, તમિલનાડુમાં 23 એપ્રિલે અને બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન તો આસામ, કેરલમ અને પુડુચેરીમાં 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થશે. બધા રાજ્યોના પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે. કેવા સમીકરણો બની રહ્યા છે?
બ્રહ્મ સમાજ દ્વારા 900 જેટલી યુવતીઓ માટે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત યુવતીઓને બેહદ નામની ગુજરાતી ફિલ્મ બતાવવામાં આવી હતી, જેનો હેતુ તેમને પ્રેમના નામે થતી છેતરપિંડી અને ભ્રમણાઓથી સજાગ કરવાનો હતો. સમાજની સંસ્કૃતિ, સંસ્કાર અને પરંપરા જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી આ પહેલ કરવામાં આવી હતી. આજના સમયમાં સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા યુવતીઓને ભ્રમિત કરવાની ઘટનાઓ વધી રહી છે, ત્યારે તેમને સાચી હકીકત સમજાવીને કોઈપણ પ્રકારની છેતરપિંડીથી બચાવવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સમાજના આગેવાનોએ યુવતીઓને સંબોધતા જણાવ્યું હતું કે જીવનના મહત્વપૂર્ણ નિર્ણયો વિચારપૂર્વક અને પરિવારના માર્ગદર્શન સાથે લેવા જોઈએ. તેમણે પ્રેમના નામે થતા કોઈપણ ભ્રમ કે દબાણથી દૂર રહી પોતાની ઓળખ, સંસ્કૃતિ અને પરિવારના મૂલ્યો જાળવવા માટે જાગૃત રહેવા પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમનો વિચાર નિવૃત ચીફ ઓફિસર રમેશભાઈ જોશીને આવ્યો હતો, ત્યાર બાદ સમાજના યુવાનોએ એકત્ર થઈને તેનું આયોજન કર્યું હતું. રમેશભાઈ જોશી અને સ્નેહલભાઈ મહેતા આ કાર્યક્રમના મુખ્ય દાતા હતા. આ અંગે મનોજભાઇ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, પ્રેમના નામે ખોટા ધંધા શરૂ થયા છે, જેનાથી ભારતની પરંપરા તૂટી રહી છે અને પરિવાર ભાવના વિખેરાઈ રહી છે. સોશિયલ મીડિયાના જમાનામાં આપણે સૌ જાગૃત થઈએ અને ભાગેડુ લગ્નનો વિરોધ કરીએ. જોકે આ અંગે મંત્રી પ્રવીણભાઈ માળીએ કહ્યું કે સમાજની આ પહેલથી સમાજના સૌ વડીલોએ આપણી આવનારી પેઢી, આપણી સંસ્કૃતિને જાળવી રાખી, આપણા રીતિ-રિવાજો જાળવી રાખી, આપણું કલ્ચર જાળવી રાખીએ એના માટે કરીને આજે જે કેટલાક કિસ્સાઓ લવ-જિહાદના બને છે એ એક પહેલા સ્ટેજની અંદર દરેકને સારું લાગતું હોય, આ ઉંમર હોય છે દરેકની કે ભાઈ હું મારા પસંદગીના માણસ સાથે પરણું. આ એક ઉંમર હોય છે પણ આની પાછળના જે ષડયંત્રો હોય છે એ સારી રીતે કદાચ કેરલા સ્ટોરીમાં પણ કીધેલું છે એની ટ્રુ સ્ટોરી આવી છે. એના પછી આ એક બેહદ પિક્ચર આવ્યું છે એ બહુ સારી રીતે કહે છે કે એના પછી શું થતું હોય છે. પ્રેમના કોઈ વિરોધી ન હોઈ શકે પણ પ્રેમના નામે ષડયંત્ર થતું હોય તો શું થતું હોય છે એ આજે દેખાડવાની જે આગેવાનોએ કોશિશ કરી છે એ આગેવાનોને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. તમારી આ કોશિશ જે છે એ આવનારી પેઢીને સુરક્ષિત કરશે, સમાજને સુરક્ષિત કરશે, સમાજની દીકરીઓને સુરક્ષિત કરશે, એના માટેનું જે પગલું આપે ભર્યું છે એના માટે હૃદયપૂર્વકના ખુબ ખુબ અભિનંદન આપું છું. ખુબ આગળ વધો અને હજીએ આ જ પ્રકારે કદાચ પિક્ચર દેખાડવા આપણે ન પડે પણ જાતે સ્વયંભૂ શક્તિ જ એ કહી દે એનો તેજ એટલો હોય કે આવા લવ-જિહાદના ષડયંત્રો એની સામે આવી જ ન શકે એવી પેઢી તૈયાર કરવા માટે પણ વિનંતી કરું છું. એના માટે બાલ સંસ્કાર કેન્દ્રો હોય, એના માટે ગર્ભ સંસ્કાર કેન્દ્રો હોય જેવી પ્રવૃત્તિ પણ આપ ચાલુ કરો એવી આ તબક્કે વિનંતી પણ હું કરું છું. જોકે આ અંગે સમાજના આગેવાન મનોજભાઈ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, સમાજની દીકરીઓમાં જાગૃતિ આવે અને બહેન-દીકરીઓ જે વર્તમાન સમયની જે સ્થિતિ છે, લવ જેહાદના નામે જે ખેલ ચાલે છે, પ્રેમને ખોટી રીતે પ્રસ્તુત કરીને ખોટા જે ધંધા ચાલુ થયા છે. એમાંથી જાગૃતિ મળે માટે બ્રહ્મ સમાજની આજે 900થી વધુ બહેનો 'બેહદ' પિક્ચર જે ગુજરાતી ચલચિત્ર છે એનું આયોજન અહીંયા બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે અને સમગ્ર આયોજન દાતાઓના સહયોગથી કરવામાં આવ્યું છે. આ આયોજન પાછળનો એકમાત્ર હેતુ એ છે કે સમાજની દીકરી-બહેનો પ્રેમ વિશે જાગૃત થાય, પ્રેમના નામે જે લોકો ખોટું કામ કરી રહ્યા છે એ લોકો બહાર લાવવા ખૂબ જ જરૂરી છે અને વર્તમાન સમયના ટેક્નોલોજીના સમયમાં જ્યારે આ પ્રકારની વ્યવસ્થા થતી હોય, અમારા નિવૃત્ત ચીફ ઓફિસર રમેશભાઈ જોશીને આ વિચાર આવેલો કે દીકરીઓને આ પિક્ચર બતાવીએ અને પિક્ચરના માધ્યમથી એક સંદેશ આપવાનો પ્રયત્ન હતો. એટલે દાતા સ્નેહલભાઈ મહેતા, આર.પી. જોશી સાહેબ, મંત્રી પણ આવ્યા છે, ધારાસભ્ય તમામ આગેવાનો છે, બધા ભેગા મળીને દીકરીઓ પ્રેમ વિશે જાગૃત થાય અને સમયની સાથે બદલાવ લાવે, સંસ્કારો અને પરંપરાની જાળવણી કરે એ જ હેતુથી આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મંત્રી પ્રવીણભાઈ માળી, ધારાસભ્ય અનિકેતભાઇ ઠાકર, પૂજ્ય વિજય સોમજી મહારાજ, કૃણાલભાઈ ભટ્ટ, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ દીલશુખભાઈ અગ્રવાલ, રમેશભાઈ પંડ્યા, આર.એસ.એસ.માંથી કૈલાશજી જોશી, ડાહ્યાભાઈ ગામી અને મહિલા અગ્રણી રાજીલબેન દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમાજના સભ્યો અને વાલીઓ દ્વારા આ અનોખી પહેલને વ્યાપક સરાહના મળી હતી, અને આગેવાનોએ આવી જાગૃતિ પ્રવૃત્તિઓ સમાજને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ગાંધીનગરમાં ચાલી રહેલા ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન એક હળવી અને રસપ્રદ ઘટના સામે આવી હતી. વિધાનસભા પરિસરમાં રાજકીય ચર્ચાઓ વચ્ચે થોડા સમય માટે હાસ્યનો માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે ગોપાલ ઇટાલિયા પોતાના સમર્થકો સાથે વિધાનસભા પરિસરમાં ચર્ચા કરી રહ્યા હતા અને તેમને વિધાનસભા તેમજ સચિવાલય અંગે માહિતી આપી રહ્યા હતા. આ દરમિયાન ત્યાંથી પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ પસાર થઈ રહ્યા હતા. ગોપાલ ઇટાલિયાએ પોતાના સમર્થકોને કિરીટ પટેલનો પરિચય કરાવ્યો. પરિચય બાદ એક AAP સમર્થકે હળવા અને મજાકીય અંદાજમાં કિરીટ પટેલને કહ્યું કે, ત્યાં ફાવતું ન હોય તો આમ આદમી પાર્ટીમાં આવી જાવ ને... સમર્થકની આ ટિપ્પણી સાંભળતા જ ત્યાં હાજર લોકોમાં હાસ્ય ફરી વળ્યું. ત્યારે ગોપાલ ઇટાલિયાએ પણ તરત જ હળવી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અરે ભાઈ, એવું ના હોય... તેમના આ જવાબ પછી વાતચીત વધુ હળવા માહોલમાં આગળ વધી. વિધાનસભા સત્ર દરમિયાન સામાન્ય રીતે રાજકીય ગરમાવો જોવા મળતો હોય છે, પરંતુ આ પ્રકારની હળવી ઘટના થોડો સમય માટે વાતાવરણને હળવું બનાવી દેતી હોય છે. આ ઘટનાએ પણ વિધાનસભા પરિસરમાં થોડો સમય માટે હાસ્યનો માહોલ સર્જ્યો હતો અને ત્યાં હાજર લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની હતી.
વલસાડ પોલીસે ગેસ એજન્સી, CNG પમ્પ સંચાલકો સાથે બેઠક યોજી:સુરક્ષા અને નિયમોના પાલન પર ભાર મૂકાયો
વલસાડ સિટી પોલીસે શહેરમાં સુરક્ષા વ્યવસ્થા અને જાહેર સુવિધા જાળવવા માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. PI દિનેશ પરમારના અધ્યક્ષસ્થાને વલસાડ સિટી પોલીસ મથક ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરની વિવિધ ગેસ એજન્સીઓના સંચાલકો અને CNG પમ્પના માલિકો હાજર રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ગેસ વિતરણ અને CNG પમ્પ પર થતી કામગીરીમાં સુરક્ષાના માપદંડો જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો હતો. ગેરકાયદેસર ગેસ રિફિલિંગ અને સલામતીના અભાવે થતી દુર્ઘટનાઓને રોકવા માટે પોલીસે આ પહેલ કરી છે. PI દિનેશ પરમારે સંચાલકોને કડક સૂચનાઓ આપી હતી. તેમણે જણાવ્યું કે, ગેસ રિફિલિંગ અને પરિવહન દરમિયાન તમામ સુરક્ષા સાધનો કાર્યરત હોવા જોઈએ. ખાસ કરીને, તમામ ગેસ એજન્સીઓ અને CNG પમ્પ પર હાઈ-ડેફિનેશન CCTV કેમેરા ચાલુ રાખવા ફરજિયાત છે. અગ્નિશમન ઉપકરણોની નિયમિત તપાસ કરવી અને સ્ટાફને તેની તાલીમ આપવી પણ સૂચવવામાં આવ્યું હતું. પમ્પ પર વાહનોની લાંબી કતારોને કારણે ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા પર ભાર મૂકવામાં આવ્યો. શંકાસ્પદ પ્રવૃત્તિ કે અનધિકૃત વ્યક્તિઓ વિશે તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ સૂચના અપાઈ હતી. PI પરમારે સંચાલકોને ખાતરી આપી હતી કે તેમની મુંઝવણોના નિરાકરણ માટે પૂરતો સહયોગ મળશે. જોકે, તેમણે ચેતવણી પણ આપી હતી કે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
નવસારી શહેરના ધર્મીન નગર વિસ્તારમાં ખોદકામ દરમિયાન PNGની મુખ્ય ગેસ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. આ ઘટનાને કારણે આસપાસના અંદાજિત 700 ઘરોમાં રાંધણ ગેસનો સપ્લાય ખોરવાઈ ગયો છે. પ્રાથમિક માહિતી મુજબ, ધર્મીન નગરમાં ગેસ પાઇપલાઇનના પુલિંગની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન જેસીબી મશીન વડે ખાડો ખોદતી વખતે અજાણતા ગેસ લાઇનના પાઇપને નુકસાન થયું હતું, જેના પરિણામે ગેસ લીકેજ શરૂ થયું. ઘટનાની જાણ થતાં જ નવસારી ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ગુજરાત ગેસ લિમિટેડની ટેકનિકલ મેન્ટેનન્સ ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક અસરથી ગેસ સપ્લાય બંધ કરી દીધો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સુરક્ષા જળવાઈ રહે તે માટે નવસારી ગ્રામ્ય પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યો છે. હાલ ગુજરાત ગેસ કંપની દ્વારા યુદ્ધના ધોરણે પાઇપલાઇન રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગેસ લાઇનમાં ભંગાણ પડવાને કારણે ધર્મીન નગર અને તેની આસપાસના 700 જેટલા પરિવારો પ્રભાવિત થયા છે. કંપની દ્વારા ટૂંક સમયમાં ગેસ સપ્લાય પુનઃસ્થાપિત કરવાની ખાતરી આપવામાં આવી છે.
ખંભાળિયાની તરઘડી ડમ્પિંગ સાઈટ પર આગ લાગી:ફાયર ટીમે સમયસર કાબુ મેળવી મોટી દુર્ઘટના ટાળી
ખંભાળિયા શહેર નજીક આવેલી નગરપાલિકાની તરઘડી ડમ્પિંગ સાઈટ પર આજે બપોરના સમયે આગ લાગી હતી. કચરાના પ્રોસેસિંગ માટે બનાવવામાં આવેલા એક યુનિટમાં અચાનક ધુમાડા સાથે આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે ગભરાટનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. જિલ્લા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ ફાયર વિભાગની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગને ઝડપથી કાબૂમાં લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. ફાયર ટીમના સમયસરના પ્રયાસોને કારણે આગ વધુ ફેલાય તે પહેલાં જ નિયંત્રણમાં આવી ગઈ હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી અને તેની તપાસ ચાલી રહી છે. સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા થઈ નથી. સમયસર ફાયર વિભાગ પહોંચતા મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
ચાર પાઠદાન કેન્દ્રનો વાર્ષિકોત્સવ:હિંમતનગરમાં બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા
હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં એન.જી. સર્કલ પાસે આવેલા પાલિકા સંચાલિત બગીચામાં રવિવારે રાષ્ટ્રીય સેવા ભારતી સંલગ્ન કર્મધામ હિંમતનગર દ્વારા સંચાલિત ચાર પાઠદાન કેન્દ્રોનો વાર્ષિકોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ પાઠદાન કેન્દ્રોમાં બાળકોને વિનામૂલ્યે શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરવામાં આવે છે, જ્યાં રોજ ચાર શિક્ષકો ટ્યુશન કરાવે છે. વાર્ષિકોત્સવમાં વિવેકાનંદ, માધવ પાર્ક, સરસ્વતી અને કેશવ પાઠદાન કેન્દ્રોના કુલ 70 બાળકોએ ભાગ લીધો હતો અને પોતાની મૌલિકતા દર્શાવતી સુંદર કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રસંગે પાઠદાન કેન્દ્રની ચાર બહેનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શારદા વિદ્યામંદિર વડાલીના વક્તા ગૌતમભાઈ આચાર્ય, કર્મધામના ટ્રસ્ટી અને પ્રમુખ રમેશભાઈ સોરઠીયા, પરિમલભાઈ પંડિત, મહેન્દ્રભાઈ પટેલ, અનિરુદ્ધભાઈ સોરઠીયા અને ડૉ. મહેન્દ્રભાઈ સોની સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લલીતભાઈ પટેલ, જશુભાઈ સોની અને જિલ્લાના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. શહેરના શ્રેષ્ઠીઓ જેવા કે કેશવ ઉપનગર કાર્યવાહ ભાવેશભાઈ પટેલ, માધવ ઉપનગર કાર્યવાહ વિશાલભાઈ સોરઠીયા, નિવૃત્ત બેંક મેનેજર ભરતભાઈ પરમાર, ગોપાલસિંહ રાઠોડ, કનુભાઈ દવે તેમજ શહેરના નાગરિકો અને પાઠ કેન્દ્રના બાળકોના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગર નિવાસી ડૉ. અજય રાવલને શિક્ષણશાસ્ત્રમાં પીએચ.ડી. પૂર્ણ કરવા બદલ “ડૉ. મફતલાલ પટેલ સંશોધન પારિતોષિક – ૨૦૨૫” એનાયત કરવામાં આવ્યું છે. આ સન્માન અમદાવાદમાં યોજાયેલા એક રાષ્ટ્રીય પરિસંવાદ દરમિયાન તેમને અર્પણ કરાયું હતું. અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા તા. 15 માર્ચ, 2026 (રવિવાર) ના રોજ અમદાવાદ ખાતે “એ.આઈ. ટેક્નોલોજી – ભારતીય શિક્ષણ પ્રણાલીમાં આશીર્વાદ કે અભિશાપ?” વિષયક રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર શિક્ષણવિદોને વિવિધ સન્માનો અને પારિતોષિકોથી નવાજવામાં આવ્યા હતા. ડૉ. અજય રાવલ કડી સર્વ વિશ્વવિદ્યાલયની એસ. એસ. પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન, ફેકલ્ટી ઓફ એજ્યુકેશન ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છે. તેમને પદ્મશ્રી રતિલાલ બોરીસાગર, પ્રખ્યાત પત્રકાર દેવેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણવિદ ડૉ. મફતલાલ પટેલ જેવા પ્રતિષ્ઠિત મહાનુભાવોના હસ્તે આ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. ડૉ. રાવલનું પીએચ.ડી. સંશોધન કાર્ય “ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની આધ્યાત્મિક બુદ્ધિ અને આત્મ ગૌરવનો કેટલાંક ચલોના સંદર્ભમાં અભ્યાસ” વિષય પર આધારિત છે. આ સંશોધન પ્રો. ડૉ. વીણાબેન પટેલ, ડીનશ્રી, ફેકલ્ટી ઓફ એજ્યુકેશન, કડી સર્વ વિશ્વવિદ્યાલયના માર્ગદર્શન હેઠળ પૂર્ણ થયું છે. આ કાર્યક્રમમાં દેશભરના શિક્ષણવિદો, સંશોધકો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. અજય રાવલને મળેલું આ સન્માન તેમના શૈક્ષણિક સંશોધન અને શિક્ષણક્ષેત્રે આપેલા યોગદાન માટે એક મહત્ત્વપૂર્ણ પુરસ્કાર ગણાય છે.
શહેરના બાપુનગરમાં અસામાજીક તત્વનો આતંક સામે આવ્યો છે. વેપારીના ગળા પર છરી મૂકીને કાઉન્ટરમાં હાથ નાખીને રૂ. 2200 લૂંટીને ફરાર થઇ ગયો હતો. વેપારીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને તેનો પીછો કરીને પકડીને મેથીપાક ચખાડીને પોલીસના હવાલે કર્યો હતો. આ અંગે બાપુનગર પોલીસે શખ્સ સામે ગુનો નોધીને તેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ વિસ્તારમાં અગાઉ પણ કેટલાક લોકોને તેણે છરી મારી હોવાનો બનાવ બન્યો છે, ત્યારે આવા સામાજિક તત્વો વિસ્તારમાં પોલીસને ગાંઠતા ન હોવાનું અને પોલીસ પેટ્રોલિંગ કરતી ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ પણ છે. આરોપીએ દુકાને આવીને પહેલાં બિભત્સ ગાળો ભાંડીમળતી માહિતી મુજબ, બાપુનગરમાં વિસ્તારમાં 56 વર્ષીય ગોપાલસિંગ વર્મા ચતુરદાસ હજારીમલની ચાલી પાસે આઇસ્ક્રીમની દુકાન ધરાવી ધંધો કરે છે. 14 માર્ચે રાત્રિના સમયે તેઓ પુત્ર અમીત અને ભત્રીજા વિષ્ણુ અને કારીગરો સાથે હાજર હતા. ત્યારે સામે ગંગાનગરની ચાલીમાં રહેતો સુનિલ રાવત છરી લઇને દુકાને આવીને બિભત્સ ગાળો બોલીને ગોપાલસિંગના ગળા પર છરી મૂકીને દુકાનના કાઉન્ટરમાંથી રૂ. 2200 લૂંટીને નાસી ગયો હતો. જેથી ગોપાલ સિંગે બૂમાબૂમ કરતા આસપાસના વેપારીઓ અને કારીગરોએ આવીને સુનિલની પાછળ દોડ્યા હતા. સૌરાષ્ટ્ર પટેલ સોસાયટી પાસે સુનિલ નીચે પડી જતા લોકોએ તેને પકડી પાડીને મેથીપાક ચખાડીને પોલીસના હવાલે કર્યો હતો. આરોપીએ અગાઉ પણ અન્ય વેપારી પર હુમલો કર્યો હતોભૂતકાળમાં અગાઉ પણ આ વ્યક્તિ દ્વારા બીજા વેપારીઓ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. વેપારીઓ દ્વારા લેખિતમાં પોલીસ આ તત્વ સામે કાર્યવાહી કરવા માટે સહી સાથે લખાણ પણ આપ્યું છે. બાપુનગર વિસ્તારમાં બનતા આવા બનાવોને લઈને પોલીસ પણ નિષ્ક્રિય હોવાનું સામે આવ્યું છે. આ અંગે ગોપાલસિંગે સુનિલ સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે સુનિલની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
દ્વારકા-નાગેશ્વર રોડ પર બુલેરો-કાર અકસ્માત:એક વ્યક્તિ ઘાયલ, નવા ડિવાઈડર જોખમી બન્યા
દ્વારકા-નાગેશ્વર માર્ગ પર આજે બુલેરો અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોમાં નવા બનેલા ડિવાઈડરની સુરક્ષા વ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, આ અકસ્માત દ્વારકા-નાગેશ્વર રોડ પર થયો હતો. અથડામણ એટલી જોરદાર હતી કે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં જ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, થોડા સમય પહેલા જ આ માર્ગ પર નવા ડિવાઈડર મૂકવામાં આવ્યા છે. જોકે, આ ડિવાઈડર પર યોગ્ય સૂચના, રિફ્લેક્ટર કે પૂરતી સુરક્ષા વ્યવસ્થાનો અભાવ જોવા મળે છે. જેના કારણે રાત્રિના સમયે અથવા ઝડપથી આવતા વાહનચાલકો માટે તે જોખમરૂપ બની રહ્યા છે. નવા ડિવાઈડર બન્યા પછી આ જ વિસ્તારમાં અત્યાર સુધીમાં ચારથી વધુ નાના-મોટા અકસ્માતો બન્યા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાને કારણે સ્થાનિકોમાં રોડ સેફ્ટી અંગે નારાજગી પ્રવર્તી રહી છે. લોકો દ્વારા સંબંધિત તંત્રને યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા, ડિવાઈડર પર રિફ્લેક્ટર લગાવવા અને ચેતવણીના બોર્ડ મૂકવાની તાત્કાલિક માંગ કરવામાં આવી રહી છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરા શહેરના ઈલોરાપાર્ક વિસ્તારમાં એક શખ્સે રસ્તા પર ચાલતી મહિલાને સ્પર્શ કરીને છેડતી કરી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. મહિલાની ફરિયાદના આધારે ગોરવા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત આરોપીએ પોલીસ સ્ટેશનમાં આવીને મહિલા સામે કાન પકડીને માફી માંગી હતી. રસ્તે ચાલીને જતી મહિલાની છેડતી કરી હતીતા.14 માર્ચના રોજ રાત્રે આશરે 11:10 વાગ્યે વડોદરા શહેરના ઇલોરાપાર્ક વિસ્તારમાં એમ.આઇ.જી. ફ્લેટ્સની ગલીમાં એક મહિલા રસ્તા પર ચાલતી હતી, ત્યારે એક અજાણ્યા બાઇક સવારે તેની બાજુમાં આવીને છેડતી કરી અને ભાગી ગયો હતો. મહિલાએ તુરંત જ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 75(2) હેઠળ ગુનો દાખલ કર્યો હતો. છેડતીની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. પોલીસે CCTVના આધારે આ કેસમાં તપાસ શરૂ કરી હતી. આરોપીને પકડવા માટે ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એન. લાઠીયાના દ્વારા અલગ-અલગ ટીમો રચવામાં આવી હતી. CCTV ફૂટેજનું વિશ્લેષણ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપી અમિત નટુભાઈ પઢિયાર (ઉંમર: 38 વર્ષ, રહે. શંકરપાર્ક સોસાયટી, દિવાળીપુરા, વડોદરા) ની ઓળખ થઈ ગઈ હતી અને ગોરવા પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ મહિલાની સામે ઉઠબેસ કરી માફી માગીઆરોપી અમિત નટુભાઈ પઢિયારે મહિલાની સામે કાન પકડીને જણાવ્યું હતું કે, 'મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. હું આવું ગેરવર્તન કોઈ બહેન સાથે ક્યારેય નહીં કરું' ત્યારબાદ આરોપી કાન પકડીને ઉઠક બેઠક કરીને પોતાની ભૂલની સજા જાતે સ્વીકારે છે.
ગુજરાત રાજ્યની એકમાત્ર રાજકોટ સ્થિત નામાંકિત AIIMS હોસ્પિટલમાં ઇન્ટર્ન ડોક્ટરના આપઘાત પ્રકરણમાં નવો વણાંક આવ્યો છે. MBBSમાં અભ્યાસ કરતા રતન મેઘવાલે સહપાઠી 5 મેડિકલ વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક ત્રાસના કારણે જ જીવન ટૂંકાવી લીધાનું સુસાઈડ નોટમાં સામે આવ્યું છે. મૃતક યુવાને અગાઉ 2 વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને પોતે માનસિક અસ્વસ્થ હોય મનોચિકિત્સકની દવા પણ ચાલુ હતી. સુસાઇડ નોટમાં તેમની સાથે જ અભ્યાસ કરતી સ્ત્રી મિત્રનો પણ ઉલ્લેખ કરાયો છે. જોકે હાલ પોલીસે કોર્ટના આદેશ મુજબ પાંચેય ઇન્ટર્ન તબીબ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતકની સાથે ભણતા 5 વિદ્યાર્થીની ધરપકડરાજકોટ SC, ST સેલના ACP ચિંતન પટેલે જણાવ્યું હતું કે, AIIMS હોસ્પિટલના ઇન્ટર્ન તબીબ અને MBBSના વિદ્યાર્થી રતનકુમાર મોહનલાલ મેઘવાલે આપઘાત પહેલા લખેલી સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં લખ્યા મૂજબ, તેમની સાથે અભ્યાસ કરતા MBBSના જ 5 વિદ્યાર્થી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા અને તેના કારણે જ તેને આપઘાતનું અંતિમ પગલું ભર્યુ હતુ. પોલીસે મૃતક યુવાન સાથે અભ્યાસ કરતા મેડિકલના 5 વિદ્યાર્થીની ધરપકડ કરી છે. આ સિવાય એક મહિલા મિત્રનો ઉલ્લેખ છે, જે મૃતક યુવાન અને આરોપીઓ બંનેના મિત્ર છે. જે પણ MBBSમાં જ અભ્યાસ કરે છે. તેઓની વચ્ચે વ્હોટ્સએપ મેસેજમાં વાતચીત થતી હતી. ત્રીજી વખત આપઘાતના પ્રયાસમાં મોતઆ યુવાને અગાઉ એક નહીં પરંતુ બે-બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જ્યારે ત્રીજી વખત તેને આપઘાતનો પ્રયાસ કરતા તેમનું મૃત્યુ નીપજ્યુ હતુ. અગાઉ 28 જાન્યુઆરી, 2026ના પરાપીપળીયા ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે તે વખતે તેને બચાવી લેવાયો હતો. જે બાદ તેનું કાઉન્સિલિંગ થયુ હતુ અને મનોચિકિત્સકની દવા ચાલુ હતી. જોકે બાદમાં તે AIIMS હોસ્પિટલમાં ન હતો. યુવાન તેના ઘરે રાજસ્થાનના જેસલમેર હતો, જ્યાં પણ યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઈન્ટર્ન ડૉક્ટરે ટ્રેન નીચે આવી જીવન ટૂંકાવ્યું, દોઢ મહિના પહેલા ગ્રામજનોએ સુસાઇડ કરતા બચાવ્યો હતો યુવકે આપઘાત પૂર્વે 18 પેજની સુસાઇડ નોટ ઈન્સ્ટાગ્રામ પર મૂકીજે બાદ ગત 13 માર્ચ, 2026ના યુવાન રાજસ્થાનથી રાજકોટ આવી પહોંચ્યો હતો અને 14 માર્ચના વહેલી સવારે પરાપીપળીયા પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી જીવન ટૂંકાવી લીધુ છે. યુવાને આપઘાત પૂર્વે 18 પેજની સુસાઇડ નોટ પોતાના ઈન્સ્ટાગ્રામ પર મૂકી હતી, જેમાં તેમની સાથે અભ્યાસ કરતા મિત્રો જ તેમને ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે તેઓ કઈ રીતે તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા, તેનો કોઈ ઉલ્લેખ નથી. આજે 15મી માર્ચે પાંચેય આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરાયો છે. આરોપીઓના નામ AIIMS રાજકોટના 2021 બેચના વિદ્યાર્થી મૃતક રતનકુમાર મેઘવાલ દ્વારા લખાયેલ એક પત્ર સામે આવ્યો છે, જેમાં તેમણે તેની આત્મહત્યા માટે જવાબદાર કારણો અને વ્યક્તિઓ વિશે વિગતવાર માહિતી આપી છે. પત્રનો સારાંશ મારપીટ અને પ્રતાડના: રતને ઉલ્લેખ કર્યો છે કે 27/1/26ના રોજ આ 5 છોકરાએ તેમની સાથે રૂમ 203 (બોયઝ હોસ્ટેલ)માં મારપીટ કરી હતી. તેમણે રતનના વીડિયો અને ઓડિયો રેકોર્ડિંગ પણ કર્યા હતા, જેથી તેમને માનસિક રીતે તોડી શકાય. યુવતી વિશે સ્પષ્ટતા: રતને ભારપૂર્વક જણાવ્યું છે કે આમાં યુવતીની કોઈ ભૂલ નથી અને તેને અથવા તેના માતા-પિતાને આ માટે જવાબદાર માનવા નહીં. તેમના મતે, યુવતી પોતે જ આ છોકરાઓના 'માઇન્ડ ગેમ' અને 'લવ બોમ્બિંગ'નો શિકાર બની હતી. રતન અને યુવતીનો સંબંધ: તેમની વચ્ચે કોઈ પ્રેમ સંબંધ (Love) નહોતો પરંતુ ઊંડું ભાવનાત્મક જોડાણ (Emotional Attachment) હતું. રતને સ્વીકાર્યું કે બંને વચ્ચે ગેરસમજ થઈ હતી અને વાતચીત બંધ થવાને કારણે સ્થિતિ બગડી હતી. પ્રણવ પાલીવાલની ભૂમિકા: રતને આક્ષેપ કર્યો છે કે પ્રણવે રતન અને યુવતી વચ્ચેના તણાવનો ફાયદો ઉઠાવ્યો હતો. તેણે યુવતીને ઈમોશનલી મેનીપ્યુલેટ કરીને પોતાની જાળમાં ફસાવી હતી, જે માત્ર એક 'ટાઈમપાસ' હતો. અંતિમ ઈચ્છાઓ અને વિનંતીઓકાનૂની કાર્યવાહી: રતને માંગ કરી છે કે તે 5 છોકરા સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને તેમના ફોનની FSL તપાસ કરવામાં આવે, જેથી ડિલીટ કરેલા વીડિયો અને પુરાવા મળી શકે. યુવતી માટે રક્ષણ: રતને કોલેજને વિનંતી કરી છે કે યુવતી સામે કોઈ કાનૂની કે એકેડેમિક પગલાં ન લેવામાં આવે. તેને પ્રોફેશનલ કાઉન્સેલિંગ આપવામાં આવે અને તેનો અભ્યાસ પૂર્ણ કરવામાં મદદ કરવામાં આવે. અન્ય પીડિતો: પત્રમાં જણાવાયું છે કે આ જ છોકરાઓએ અગાઉ રાજ તિવારી નામના વિદ્યાર્થી સાથે પણ મારપીટ કરી હતી, પરંતુ કોલેજ દ્વારા કોઈ કડક પગલાં લેવાયા નહોતા.
સહકાર નગર જીવદયા ગ્રુપ દ્વારા પીપરડી મહાજન પાંજરાપોળમાં અબોલ જીવો માટે લીલા ઘાસ આપવામાં આવ્યું હતું. એક આઇસર ભરીને લીલું ઘાસ પાંજરાપોળના પશુઓને ખવડાવવામાં આવ્યું. આ સેવાકાર્ય માટે કુલ રૂ. 15,000નો ખર્ચ થયો હતો, જે વિવિધ સહયોગી દાતાઓ દ્વારા પૂરો પાડવામાં આવ્યો હતો.દાતાઓમાં સ્વ. હેમકુંવરબેન નેમચંદ દેવશી ગુઢકા તથા સ્વ. દર્શનાબેનના આત્મશ્રેયાર્થે ઋષભ વિજયભાઈ શાહ પરિવાર (મૂળ મિઠોઈ, હાલ લંડન) તરફથી રૂ. 3,501નો સહયોગ મળ્યો હતો. માતૃશ્રી લીલાવતીબેન શિવાલાલભાઈ શાહ (તુરખાવાળા, બોટાદ) દ્વારા રૂ. 2,500નું દાન આપવામાં આવ્યું હતું.આ ઉપરાંત, સ્વ. જયેશભાઈ હિંમતલાલ શાહ HM પરિવાર (બોટાદ) તરફથી રૂ. 1,500, સ્વ. લતાબેન રાજેશભાઈ શાહ (બોટાદ) તરફથી રૂ. 1,000, એક ગુરુભક્ત પરિવાર (બોટાદ) તરફથી રૂ. 1,000, એક ભાઈ (બોટાદ) તરફથી રૂ. 500 અને જીતેન્દ્રભાઈ વસાણી (બોટાદ) તરફથી રૂ. 500નો ફાળો મળ્યો હતો.સહકાર નગર જીવદયા ગ્રુપે તમામ લાભાર્થી પરિવારોનો આભાર વ્યક્ત કર્યો હતો.
જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકા પંચાયતના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો જ્ઞાતિવાદ અને ભેદભાવનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો. ગતરોજ મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ જયકિશનભાઈ મનસુખભાઈ માકડીયાએ તેમની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થવાના માત્ર ત્રણ દિવસ પહેલા જ પદ પરથી રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાને પગલે જૂનાગઢ અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ દેવદાન મુછડિયાએ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમર પર ગંભીર આક્ષેપો કરી રાજકારણ ગરમાવ્યું હતું. હરેશ ઠુંમર પર જ્ઞાતિવાદના ગંભીર આક્ષેપો અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ દેવદાનભાઈ મુછડિયાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમરે હંમેશા દલિત પ્રતિનિધિઓ પ્રત્યે ભેદભાવભર્યું વલણ રાખ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે જિલ્લાની 9 તાલુકા પંચાયતોમાંથી માત્ર મેંદરડામાં જ દલિત પ્રમુખ હોવાથી હરેશ ઠુંમરે તેમને વહીવટ કરવા દીધો ન હતો. દેવદાનભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, ભાજપના સંસ્કારો વિરુદ્ધ જઈને એક નાના પરિવારના દલિત દીકરાને રાજીનામું આપવા સુધી મજબૂર કરવામાં આવ્યા હતા. આ મામલે તેમણે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને લેખિત ફરિયાદ કરી આગામી ચૂંટણીમાં હરેશ ઠુંમરની ટિકિટ કાપવાની પણ માંગ કરી હતી.આ સમગ્ર મામલે દિવ્ય ભાસ્કરે હરેશ ઠુંમર સાથે વાત કરવાનો પ્રયત્ન કરતા તેમને તેનો કોલ રીસીવ કર્યો ન હતું. અધિકારીઓના અસહકારથી પ્રમુખે છોડ્યું હતું પદ રાજીનામું આપતી વખતે જયકિશનભાઈ માકડીયાએ અત્યંત આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખીને જણાવ્યું હતું કે, તાલુકા વિકાસ અધિકારી (TDO) અને બાંધકામ શાખાના ઇજનેર દ્વારા તેમની સાથે સતત જ્ઞાતિવાદ આધારિત ભેદભાવ રાખવામાં આવતો હતો. પ્રમુખે આક્ષેપ કર્યો હતો કે તેઓ અનુસૂચિત જાતિના હોવાથી સવર્ણ અધિકારીઓ તેમનું વર્ચસ્વ સ્વીકારતા નહોતા અને વિકાસના કામોમાં જાણીજોઈને અડચણો ઊભી કરતા હતા. વારંવાર આયોજન બેઠકો રદ કરાતી હતી વહીવટી તંત્રની મનસ્વીતાનું ઉદાહરણ આપતા પ્રમુખે જણાવ્યું હતું કે, 9 સપ્ટેમ્બર 2025ની બેઠકમાં તેઓ હાજર હોવા છતાં મિનિટબુકમાં તેમની સહીઓ છેકી નાખી તેમને ગેરહાજર બતાવાયા હતા. ત્યારબાદ 26 ફેબ્રુઆરી 2026 અને 16 માર્ચ 2026ની નિર્ધારિત આયોજન બેઠકો પણ કોઈને કોઈ બહાના હેઠળ ટેલિફોનિક જાણ કરી રદ કરી દેવામાં આવી હતી. આ પ્રકારના સતત અપમાનથી કંટાળીને અંતે તેમણે પદત્યાગ કર્યો હતો. મેંદરડામાં અગાઉ પણ દલિત મહિલા પ્રમુખે આપ્યું હતું રાજીનામું આ પંચાયતમાં વિવાદનો ઈતિહાસ જૂનો રહ્યો છે. જયકિશનભાઈ પહેલા 26 જુલાઈ 2024ના રોજ મેંદરડા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ દયાબેન મકવાણાએ પણ ટર્મ પૂરી થાય તે પહેલા જ રાજીનામું આપી દીધું હતું. તે સમયે દયાબેનના પતિ દીપકભાઈ મકવાણાએ આક્ષેપ કર્યો હતો કે અનુસૂચિત જાતિના હોવાને કારણે રાજકીય હોદ્દેદારો દ્વારા તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આમ, મેંદરડામાં સતત બે દલિત પ્રમુખોને રાજકીય કિન્નાખોરીનો ભોગ બનવું પડ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું.
ભાવનગર શહેરના વડવા તલાવડી વાલ્મિકી વાસ વિસ્તારમાં ઘર નજીક લોકોને ટોળા ભેગા થવા બાબતે પડોશીઓ વચ્ચે થયેલી બોલાચાલી દરમિયાન પડોશમાં જ રહેતા બે શખસે એક યુવકને ઢીકાપાટુ વડે મારમારી છરીથી હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યારે બનાવના પગલે પોલીસે બંને શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓએ લોકોને ભેગા ન કરવાનું કહી બબાલ કરીઆ બનાવ અંગે નિલમબાગ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર, ભાવનગર શહેરના વડવા તલાવડી વાલ્મિકી વાસ વિસ્તારમાં રહેતા વિપુલ મહેશભાઈ સરધારાએ નિલમબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગતરાત્રે તે પોતાના ઘર નજીક બેઠો હતો. ત્યારે પાડોશમાં રહેતા ભરત વિનોદભાઈ ચૌહાણ અને અમિત જેરામભાઈ ચૌહાણ ત્યાં આવી તેમને ઘરની નજીક લોકોના ટોળા ભેગા ન કરવા બાબતે કહ્યુ હતું. છરી મારતા આંખના ભાગે ઈજાઆ બાબતે બોલાચાલી થતા બંન્ને ઉશ્કેરાઈ જઈ વિપુલને ઢીકાપાટુ વડે માર માર્યો હતો. દરમિયાન ભરતે તેમના માથાના વાળ પકડી રાખ્યા અને અમિતે છરીથી હુમલો કરી જેમાં વિપુલના આંખના ભાગે ઈજા પહોંચી હતી. આ દરમિયાન વિપુલના સંબંધીઓ દોડી આવતા વધુ મારથી તેને છોડાવવામાં આવ્યો હતો. ત્યારબાદ બન્ને શખસ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બન્ને સામે ગુનો નોંધ્યોઈજાગ્રસ્ત વિપુલને સારવાર માટે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ પગલે પોલીસે ભરત ચૌહાણ અને અમિત ચૌહાણ સામે BNS 118(1), 115(2), 352, 351(2), 351(3), 54 તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં આજે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ગોઠવવામાં આવેલા એક છટકામાં સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરોમાં ફરજ બજાવતો એક અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો છે. સાણંદ સેન્ટરના સિનિયર ઇન્ટેલીજન્સ ઓફીસર કેતન ગીરીશભાઇ દવેએ એક જાગૃત નાગરિકના પોલીસ પ્રોટેક્શનને રીન્યુ કરવા માટે પોઝીટીવ અભિપ્રાય આપવાના બદલામાં 80 હજાર રૂપિયાની માંગણી કરી હતી, જે રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે તેમને દબોચી લીધો છે. પોલીસ પ્રોટેકશનની અરજી બાબતે સકારાત્મક અભિપ્રાય આપવા બદલ લાંચ માગીઆ કેસની વિગત એવી છે કે, ફરિયાદીને અગાઉથી જ પોલીસ પ્રોટેક્શન મળેલું હતું. આ પ્રોટેક્શનની મુદ્દત વધારવા એટલે કે રીન્યુ કરાવવા માટે ફરિયાદીએ વિધિવત અરજી કરી હતી. આ સરકારી પ્રક્રિયાના ભાગરૂપે આરોપી કેતન દવેએ આ અરજી પર સકારાત્મક અભિપ્રાય મોકલી આપવા માટે ફરિયાદી પાસે નાણાંની માંગ કરાઈ હતી. તેણે પોઝીટીવ અભિપ્રાય આપવા ફરિયાદી પાસે 80,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જોકે જાગૃત નાગરિકે આ લાંચ આપવાને બદલે ગાંધીનગર એસીબી એકમનો સંપર્ક સાધી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જેના પગલે ગાંધીનગર એસીબી દ્વારા છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. 80 હજારની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યોઆ દરમિયાન ગાંધીનગરના સરગાસણ ચોકડી પાસે આવેલા સૌરાષ્ટ્ર ગાંઠીયા રથની સામે રોડ પર જ્યારે ફરિયાદી પોતાની ગાડીમાં હાજર હતા.ત્યારે આરોપી કેતન ત્યાં પહોંચ્યો હતો. બાદમાં ગાડીની અંદર જ આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી હતી. જેવી આરોપીએ 80 હજારની રકમ હાથમાં લીધી તેવી જ વોચમાં રહેલી એસીબીની ટીમે ત્રાટકીને તેને રંગેહાથ પકડી લીધો હતો. આ સમગ્ર ટ્રેપની કામગીરી ગાંધીનગર એસીબી એકમના ફિલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ચાવડા દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં મદદનીશ નિયામક એ.કે. પરમારના સુપરવિઝન હેઠળ અને અમદાવાદના નાયબ નિયામક હરેશ મેવાડાના માર્ગદર્શનમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસીબીએ હવે આ મામલે આરોપીની વધુ પૂછપરછ અને અન્ય મિલકતોની તપાસ માટેની તજવીજ તેજ કરી છે. કેતન દવે હાલ સાણંદ સેન્ટર ખાતે કાર્યરતઆ અંગે સૂત્રોએ જણાવ્યું કે , ફરિયાદી એક રાજકીય વ્યક્તિ છે. જેમના પોલીસ પ્રોટેક્શન માટેની મુદત વધારવા માટે અરજી કરવામાં આવી હતી. જે અરજીના પોઝિટિવ અભિપ્રાય માટે દવે કેતને લાંચ માંગી હતી. વર્ષ 2010માં કેતન પોલીસ ખાતામાં પીએસઆઇ તરીકે જોડાયો હતો. બાદમાં પ્રમોશન મેળવીને પોલીસ ઇન્સ્પેક્ટર બન્યો હતો. જે હાલમાં અમદાવાદ રિજિયન સાણંદ સેન્ટર ખાતે એક ઇન્ટેલિજન્સ બ્યુરોમાં સિનિયર ઈન્ટેલિજન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવે છે.
અમદાવાદ એરપોર્ટ એર કાર્ગો ટર્મિનલ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની હતી. એર કાર્ગો ટર્મિનલ વિસ્તારમાં આવેલી એક ટેમ્પરરી કેબિન સ્ટ્રક્ચરમાં આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગતા ધુમાડા આકાશમાં જોવા મળ્યા હતા. જેના પગલે તાત્કાલિક એરપોર્ટ ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી. આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી પરંતુ એર કાર્ગો વિસ્તારમાં બનેલી ઘટનાને લઈને એરપોર્ટ તંત્ર સાવચેત થઈ ગયું હતું. એર કાર્ગો નજીક ટેમ્પરરી કેબીન સ્ટ્રકચરમાં આગમળતી માહિતી મુજબ અમદાવાદ એરપોર્ટના એરક્રાફ્ટ મૂવમેન્ટ એરિયા બહાર આગ લાગવાની ઘટના બની હોવાને લઈને દોડધામ મચી ગઈ હતી. એરપોર્ટની જૂની ગુજસેલ બિલ્ડિંગ પાસે આગ લાગવાની ઘટના બની હતી. એર કાર્ગો નજીકના ટેમ્પરરી કેબિન સ્ટ્રક્ચરમાં આગ લાગી હતી ત્યારે હાજર CISF જવાનો અને સ્ટાફ દ્વારા તરત જ એરપોર્ટ ફાયરને જાણ કરવામાં આવી હતી. એરોડ્રોમ રેસ્ક્યુ અને ફાયર ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવાયો હતો. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. ઘટનામાં પણ કોઈ જાનહાનિ થઈ નથી આગ લાગવા અંગે હાલ એરપોર્ટ સ્ટાફ ઓથોરિટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
પાટણ રોટરી ક્લબ દ્વારા તેના 52મા ચાર્ટર ડેની ઉજવણી નિમિત્તે શંકુઝ હોસ્પિટલ ખાતે કાયમી થેલેસેમિયા સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિગમ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં આ સેવાકીય પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રોટરી ઇન્ટરનેશનલ વિશ્વભરમાં સેવા પ્રોજેક્ટ્સ દ્વારા કાર્ય કરતી સૌથી મોટી અને પ્રાચીન સંસ્થાઓમાંની એક છે. રોટરી ક્લબ ઓફ પાટણને રોટરી ક્લબ ઓફ અમદાવાદ દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યા બાદ 15 માર્ચ 1974ના રોજ ચાર્ટર પ્રાપ્ત થયું હતું. ક્લબની 52 વર્ષની આ યાત્રા નિમિત્તે શરૂ કરાયેલું આ થેલેસેમિયા સેન્ટર, આગામી સમયમાં થેલેસેમિયા પીડિત બાળકો અને તેમના પરિવારો માટે મહત્વપૂર્ણ સહાયક બનશે. આ પ્રસંગે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ અને રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિગમ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. રોટરી પ્રમુખ પરિમલ જાની અને શંકુઝ હોસ્પિટલના સી.ઈ.ઓ. ડો. ગ્રિશ્મા દ્વારા વિધિવત રીતે એમ.ઓ.યુ. (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર કરીને આ પ્રોજેક્ટને ખુલ્લો મુકાયો હતો. આ નવું સેન્ટર રોટરી ક્લબ પાટણ દ્વારા ચાલતા અન્ય પ્રોજેક્ટ્સ જેવા કે બ્લડ બેંક, ચક્ષુ બેંક, રોટરી વિસામો, સહસ્ત્ર તરુવન, રોટરી–રોટરેક્ટ ગાર્ડન અને ઓક્સિજન બેંકની યાદીમાં એક નવું સોપાન છે. ક્લબ દ્વારા વર્ષોથી કાર્યરત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં આ થેલેસેમિયા સેન્ટરનો ઉમેરો થવાથી દર્દીઓને વધુ રાહત મળશે.
જગત મંદિર દ્વારકાના દર્શનાર્થે આવતા ભોળા ભક્તોને વિશ્વાસમાં લઈ, તેમને નશીલું પીણું પીવડાવી લૂંટી લેતી એક શાતિર ટોળકીનો દેવભૂમિ દ્વારકા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ પર્દાફાશ કર્યો છે. ભાવનગર જિલ્લાના બે શખસને રૂ. 3.14 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પોલીસે યાત્રિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી છે. મોડસ ઓપરેન્ડી: મીઠી વાતો અને ધતુરાનો પાવડર આરોપીઓ ખાસ કરીને વૃદ્ધ અને નિર્દોષ દર્શનાર્થીઓને નિશાન બનાવતા હતા. જામજોધપુરના પ્રવાસીઓ બન્યા હતા ભોગ તાજેતરમાં હોળી-ધુળેટીના ફૂલડોલ ઉત્સવ દરમિયાન જામજોધપુર પંથકથી આવેલા બે દર્શનાર્થીને આ ટોળકીએ નિશાન બનાવ્યા હતા. તેમને શેરડીના રસમાં ધતુરો પીવડાવી સોનાના ઠોરીયા અને રોકડની લૂંટ ચલાવી હતી. આ અંગે દ્વારકા પોલીસ મથકે ગુનો નોંધાતાં પોલીસ એક્શનમાં આવી હતી. સંપૂર્ણ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો… પોલીસની કામગીરી અને ધરપકડ જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાની સૂચનાથી LCB પીઆઈ બી.જે. સરવૈયાની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ તેજ કરી હતી. ખંભાળિયા-પોરબંદર હાઈવે પર રેલવે ફાટક પાસે વોચ ગોઠવી પોલીસે બે આરોપીને દબોચી લીધા હતા: જપ્ત કરાયેલો મુદ્દામાલ પોલીસની જનતાને અપીલ આ સફળ કામગીરી બાદ પોલીસે યાત્રિકો અને સ્થાનિક જનતાને સાવચેત રહેવા અપીલ કરી છે. કોઈપણ અજાણ્યા વ્યક્તિ દ્વારા આપવામાં આવતી ખાવા-પીવાની વસ્તુઓનો સ્વીકાર ન કરવો અને શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તુરંત પોલીસનો સંપર્ક કરવો.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ભાજપમાં ભડકો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપનો આંતરિક વિખવાદ સામે આવ્યો. ભાજપના એક વ્હોટ્સએપ ગૃપમાં કાર્યકર્તાઓએ અમરાઈવાડીના ધારાસભ્ય ડો. હસમુખ પટેલ સામે રોષ વ્યક્ત કર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કોંગ્રેસે શરુ કરી સ્થાનિક સ્વરાજ માટેની તૈયારીઓ કોંગ્રેસે સોમનાથ દાદાના દર્શન કરી સ્થાનિક સ્વરાજ માટે સંગઠન મજબૂત કરવાની તૈયારી શરુ કરી. જો કે દરમિયાન સોમનાથ વિધાનસભાના જ ધારાસભ્ય વિમલ ચુડાસમાની સૂચક ગેરહાજરીએ કોંગ્રેસના આંતરિક વિવાદને લઈને સવાલો ઉભા કર્યા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અંબાજી મંદિર વિવાદ મામલે તપાસ તેજ જૂનાગઢના ગીરનારમાં અંબાજી મંદિર વિવાદ મામલે તપાસનો ધમધમાટ. આજે રવિવારની રજા હોવા છતાં પ્રાંત અધિકારીએ પૂજારી, PRO અને રસોયા સહિત કુલ 26 લોકોને પૂછપરછ માટે બોલાવ્યા હતા. .11 લોકોના નિવેદન નોંધવામાં આવ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રામેશ્વર મંદિર બન્યું અસામાજિક તત્ત્વોનો અડ્ડો આ તરફ અમદાવાદના ઘાટલોડિયાના રામેશ્વર મંદિરના કમ્પાઉન્ડમાં દારુ અને ગાંજાની મહેફિલ જામતી હોવાનો આક્ષેપ.. મંદિર ટ્રસ્ટે કહ્યું કે મંદિર બંધ થયા બાદ પરિસર અને ગાર્ડનમાં અસામાજિક તત્ત્વો અડ્ડો જમાવે છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બમ્પ કૂદાવી કાર ચાલકે બાઈકસવારને ટક્કર મારી વડોદરામાં સ્પીડ બ્રેકર હોવા છતાં બેફામ સ્પીડમાં આવતા કાર ચાલકે બાઈકસવારને ટક્કર મારી.. યુવક 20ફૂટ દૂર જઈને પટકાયો અને તરફડિયા મારતો રહ્યો. જો કે કારચાલક ત્યાંથી તાત્કાલિક ભાગી છૂટ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સગીરા પર પાંચ શખ્સોએ ગેંગરેપ કર્યો સુરતના ઉમરપાડામાં સગીરા પર ગેંગરેપની ઘટના સામે આવી. પાંચ શખ્સોએ અવાવરુ જગ્યાએ લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દારુના અડ્ડાના ઝઘડામાં યુવતીએ મચાવી ધમાલ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં દેશી દારુના અડ્ડા બાબતે એક યુવતીએ ધમાલ મચાવી. હાથમાં છરો લઈને યુવતીએ તલવારની જેમ ફેરવી બેફામ ગાળો ભાંડી..પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટ્રકે બાઈકને ટક્કર મારતા બે યુવકોના મોત અમદાવાદ -મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રકે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર બે યુવકોના મોત થયા. ટક્કર એટલી ભયાનક હતી કે હાઈવે પર માંસના લોચા વિખેરાયા. પતિના મૃતદેહ પાસે મહિલાના હૈયાફાટ આક્રંદે સૌ કોઈને હચમચાવી નાખ્યા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પરપ્રાંતીય શ્રમિકોએ વતનની વાટ પકડી મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધને કારણે સર્જાયેલી ગેસની અછતને પગલે હવે પરપ્રાંતીય શ્રમિકોએ વતનની વાટ પકડી..સુરતના વીવિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો વતન જવા રવાના થયા..રેલવે સ્ટેશન પર લાંબી લાઈનો લાગેલી જોવા મળી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભદ્ર પાથરણાં બજાર ફરી ધમધમતું થયું HCના આદેશ બાદ ભદ્ર પાથરણાં બજાર ફરી ધમધમતું થયું. જો કે AMCએ વેરિફિકેશન કરીને વ્યવસ્થા ના કરતાં ગમે તેમ બેસી ગયા, ફરી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ શકે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગઈકાલે મોડી સાંજે ફતેપુરા ત્રણ રસ્તા પાસેના ખુલ્લા ખેતરમાંથી 21 જુગારીને 21 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા પછી આજે સવારે શાહપુરબ્રિજ નજીકથી દારૂની હેરાફેરીનો પણ પર્દાફાશ કર્યો છે. એલસીબીએ ચિલોડાથી અમદાવાદ તરફ દારૂ ભરેલી ગાડી જવાની બાતમીના આધારે વોચ ગોઠવી વિદેશી દારૂ બિયરના જથ્થા સાથે 8.10 લાખનો મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. કાર રોકવાનું કહેતા આરોપીએ ભગાવીઆ અંગેની મળતી માહિતી મુજબ, એલસીબીની ટીમ ઈન્દ્રોડા સર્કલ પાસે પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળી હતી કે રાજસ્થાન પાસિંગની સફેદ કલરની વિટારા બ્રેઝા નંબર RJ-23-CC-5327માં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. જેના પગલે એલસીબી ટીમે વોચ ગોઠવી ગાડીને ઉભી રાખવાનો ઈશારો કરતા ચાલકે ગાડી ભગાવી હતી. જેના પગલે ટીમે ખાનગી વાહનોમાં પીછો કરતા શાહપુર બ્રિજ પાસે સર્વિસ રોડ પર પટેલ આઈસ્ક્રીમ શોપ નજીક ગાડીને કોર્ડન કરી લીધી હતી. એક આરોપી કારમાંથી ફરારઆ દરમિયાન મુખ્ય આરોપી નરૂ ઉર્ફે કાળિયો (રહે. બુબી, રાજસ્થાન) અંધારાનો લાભ લઈ ચાલુ ગાડીએ ઉતરીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. બાદમાં પોલીસે ગાડીમાં તપાસ કરતા ડ્રાઈવર સીટ પર બેઠેલા કરણકુમાર નવીનભાઈ પારઘી (રહે. અણસોલ, શામળાજી)ને ઝડપી લીધો હતો. દારૂ સહિત 8 લાખનો મુદ્દામાલ જપ્તઆ અંગે એલસીબી પીઆઇ દિવાનસિંહ વાળાએ કહ્યું કે, ગાડીની તલાશી લેતા તેમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 376 બોટલો અને બીયરના ટીન મળી કુલ રૂ. 2,95,210નો જથ્થો મળી આવ્યો છે. જેના પગલે દારૂની હેરાફેરીમાં વપરાયેલ રૂ. 5,00,000ની વિટારા બ્રેઝા ગાડી અને રૂ. 15,000નો મોબાઈલ ફોન મળી કુલ રૂ. 8,10,210નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ફરાર આરોપી સહિતનાની શોધખોળ શરૂ કરીઆરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આ દારૂનો જથ્થો નરૂ ઉર્ફે કાળિયો લાવ્યો હતો અને રતનપુર બોર્ડરથી કરણકુમારને સાથે રાખી અમદાવાદમાં કોઈને સપ્લાય કરવાનો હતો. પોલીસે આ મામલે પકડાયેલ આરોપી, ફરાર આરોપી, ગાડીના માલિક અને દારૂ મંગાવનાર અને મોકલનાર તમામ વિરુદ્ધ ઇન્ફોસિટી પોલીસ મથકના ગુનો દાખલ કરવામાં આવ્યો છે .
પાટણ શહેરમાં ચેટીચાંદ પર્વ નિમિત્તે વહે ગુરુ ગ્રુપ સિંધી સમાજ દ્વારા ભગવાન ઝૂલેલાલની બાઈક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં સિંધી સમાજના શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ યાત્રા ચાચરીયા વિસ્તારમાં આવેલા ભગવાન ઝૂલેલાલના મંદિરથી પ્રસ્થાન થઈ હતી. યાત્રાના પ્રારંભે ભક્તો દ્વારા 'આયો લાલ ઝૂલેલાલ'ના જયઘોષ કરવામાં આવ્યા હતા, જેનાથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો જેવા કે લીમડીચોક, નગરપાલિકા રોડ, ફત્તેસિંહરાવ લાયબ્રેરી, મદારસા, ત્રણ દરવાજા, દોશીવટ, હિંગળાચાચર અને બગવાડા દરવાજા થઈને ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી પાર્ટી પ્લોટ - ખાડીયા મુકામે સમાપ્ત થશે. માર્ગમાં આવતા વિવિધ વિસ્તારોમાં યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં સિંધી સમાજના યુવાનો, વડીલો અને શ્રદ્ધાળુઓ શિસ્તબદ્ધ રીતે પોતાની બાઈક સાથે જોડાયા હતા. પરંપરાગત ઉત્સાહ અને આસ્થા સાથે નીકળેલી આ રેલીએ શહેરના મુખ્ય માર્ગો પર આકર્ષણ જમાવ્યું હતું અને પર્વની ઉજવણીમાં લોકો સહભાગી થયા હતા.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં પ્રથમ પ્રેફરન્સનું વોટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. BCG ચૂંટણીમાં વકીલોએ આપેલા 46,286 મતો માન્ય ઠર્યા છે. વોટ શેર આધારે પ્રથમ પ્રેફરન્સમાં માન્ય થયેલા બે ઉમેદવારોનું સભ્યપદ નક્કી થયું છે. જેમાં આફતાબ હુસૈન અંસારી અને જે.જે.પટેલે ક્વોટા પાર કરી વિજય મેળવ્યો છે. આફતાબ હુસૈન અંસારી અને જે.જે. પટેલ કાઉન્સિલના સભ્ય બન્યાBCGના સભ્ય માટે 1929 નો ક્વોટા મેળવવો જરૂરી હતો. આફતાબ હુસૈન અન્સારી 2,398 વોટ ક્વોટા સાથે પ્રથમ સભ્ય બન્યા બન્યા છે. જે.જે.પટેલને 1949 વોટ ક્વોટા સાથે બીજા નંબરે કાઉન્સિલના સભ્ય બન્યા છે. સંપૂર્ણ પ્રેફરન્સ વોટની ગણતરી બાદ પરીણામ ચારેક દિવસમાં સ્પષ્ટ થશે. ચૂંટણીમાં કુલ 99 ઉમેદવારો મેદાનમાં હતાકુલ 23 ઉમેદવારો BCGના સભ્યો નક્કી થશે. તમામ સભ્યો થકી પોતાના ચેરમેન અને કમિટીના હોદ્દેદારોની નિમણૂક કરાશે. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં 99 એડવોકેટ ઉમેદવાર તરીકે ઊભા હતા. જ્યારે રાજ્યમાંથી 76 હજારથી વધુ અને અમદાવાદમાંથી 18 હજારથી વધુ વકીલો મતદાતા હતા. 06 માર્ચે યોજાયેલ આ ચૂંટણીમાં રાજ્યના 150 સેન્ટર ઉપર મતદાન યોજાયું હતું.
દાદરા નગર હવેલીમાં તોતાપુરી કેરીનું આગમ:ખેડૂતે એકાદશીએ વેચાણ શરૂ કર્યું, પ્રથમ દિવસે ₹2000 ભાવ મળ્યો
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના નરોલી ગામમાં તોતાપુરી કેરીની સિઝનનો પ્રારંભ થયો છે. વલસાડ જિલ્લાને અડીને આવેલા આ વિસ્તારના ખેડૂત ભરતસિંહ સોલંકીએ એકાદશીના શુભ દિવસે કેરીના વેચાણનું મુહૂર્ત કર્યું હતું. પ્રથમ દિવસે તેમને 3 મણ કેરીના ₹2000 પ્રતિ મણનો ભાવ મળ્યો હતો. વલસાડ જિલ્લા સહિત દાદરા નગર હવેલી અને દમણ પ્રદેશમાં ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ફળોના રાજા કેરીની સિઝન પણ નજીક આવી રહી છે. હાલમાં આંબાવાડીઓમાં તોતાપુરી કેરીનો ફાલ ઉતરવાની શરૂઆત થઈ છે, જેના પગલે ખેડૂતોએ કેરી ઉતારવાનું શરૂ કર્યું છે. ખેડૂત ભરતસિંહ સોલંકીએ આશાવાદ વ્યક્ત કર્યો છે કે જો આગામી દિવસોમાં વાતાવરણ સાનુકૂળ રહેશે, તો કેરીનો સારો પાક મળશે અને ખેડૂતોને પણ સારો ભાવ મળી રહેશે. આગામી સમયમાં તોતાપુરી કેરી બજારમાં ધૂમ મચાવશે તેવી અપેક્ષા છે.
પાલનપુર ખાતે રાજ્યના પરિવહન માળખાને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી ₹4.60 કરોડના ખર્ચે નવનિર્મિત આધુનિક ડેપો-વર્કશોપનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્યના વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર અને ક્લાયમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે આ સંકુલનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર પણ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી અને ધારાસભ્યએ એસ.ટી.ના ડ્રાઈવર અને કંડક્ટર કર્મચારીઓને સ્વહસ્તે ભોજન પીરસીને પ્રોત્સાહિત કર્યા હતા. પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. મંત્રીએ વર્કશોપ ખાતેની વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તૈયાર કરાયેલું આ નવું વર્કશોપ બિલ્ડિંગ 15,712 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. જૂના અને જર્જરિત ડેપોનું ડિમોલિશન કરીને અત્યાધુનિક આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળું બાંધકામ કરવામાં આવ્યું છે. આ વર્કશોપ બસોના ઝડપી અને ગુણવત્તાયુક્ત મેન્ટેનન્સ માટે તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે મુસાફરોની સુરક્ષા અને સુવિધામાં વધારો કરશે. વર્કશોપના ગ્રાઉન્ડ ફ્લોર પર 998.38 ચોરસ મીટરનો બિલ્ટઅપ એરિયા છે. અહીં ડેપો મેનેજર ઓફિસ, એડમિન રૂમ, સ્ટોર, ઓઈલ રૂમ, ટાયર અને બેટરી રૂમ જેવી વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, બસોના સમારકામ માટે લોન્ગ સર્વિસ પીટ અને યુ-શેપ પીટ પણ તૈયાર કરવામાં આવ્યા છે. બિલ્ડિંગના પ્રથમ માળે કર્મચારીઓ માટે લેડીઝ રેસ્ટરૂમ, વર્કર્સ રૂમ, રેકોર્ડ રૂમ અને ડિસ્પેન્સરી જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. સમગ્ર સંકુલમાં 6,000 ચોરસ મીટર વિસ્તારમાં સી.સી. ટ્રિમિક્સ ફ્લોરિંગ કરવામાં આવ્યું છે. પાલનપુર એસ.ટી. વિભાગ હાલમાં વિશાળ ફલક પર કાર્યરત છે, જેમાં કુલ 2,896 કર્મચારીઓ (1,147 ડ્રાઈવર અને 1,269 કંડક્ટર સહિત) ફરજ બજાવી રહ્યા છે. આ વિભાગ હેઠળ 7 ડેપો વર્કશોપ અને 8 કંટ્રોલ પોઈન્ટ્સ કાર્યરત છે. હાલમાં 647 બસો દ્વારા દૈનિક 594 શિડ્યુલ અને 2,881 ટ્રિપો મારફતે આશરે 2.69 લાખ કિલોમીટરનું અંતર કાપીને નાગરિકોને પરિવહન સેવા પૂરી પાડવામાં આવે છે. એસ.ટી. વિભાગ દ્વારા 99.34% ગ્રામીણ વિસ્તારોમાં બસ સેવા પહોંચાડવામાં આવે છે. દૈનિક 1.19 લાખ મુસાફરો આ સેવાનો લાભ લે છે, જેમાં 18 હજાર ગ્રામીણ વિદ્યાર્થીનીઓને 100% ફ્રી પાસ અને 24 હજાર વિદ્યાર્થીઓને રાહત દરે મુસાફરીનો લાભ આપવામાં આવે છે.
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદ જિલ્લાને ₹367.78 કરોડના વિવિધ વિકાસ કામોની ભેટ આપી છે. સિંગવડ ખાતે આયોજિત કાર્યક્રમમાં તેમણે તાલુકા સેવા સદન અને ગરબાડામાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનું લોકાર્પણ કર્યું. આ ઉપરાંત, રતનમહલ રીંછ અભયારણ્ય વિકાસ અને નવી GIDC પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ તેમના હસ્તે સંપન્ન થયું. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ વનબંધુઓના જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવવા સતત પ્રયાસો થઈ રહ્યા છે, અને આ નવા પ્રોજેક્ટ્સ દાહોદ જિલ્લાના વિકાસને નવી ગતિ આપશે. સિંગવડ ખાતેના કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સિંગવડ તાલુકા સેવા સદન, ગરબાડામાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, રતનમહલ રીંછ અભયારણ્ય વિકાસ, નવી GIDC, રમતગમતના મેદાનો અને દેવગઢ બારિયામાં આદર્શ નિવાસી શાળાના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત સહિતના મહત્વના કામો ખુલ્લા મૂક્યા હતા. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે દાહોદ જિલ્લો ઐતિહાસિક રીતે આદિવાસી ગૌરવ અને સ્વાતંત્ર્ય આંદોલન સાથે જોડાયેલો છે. તેમણે 2007માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ કરાયેલી વનબંધુ કલ્યાણ યોજનાનો ઉલ્લેખ કર્યો, જેનાથી આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટું રોકાણ થયું છે. નર્મદાના પાણી દ્વારા દાહોદ, છોટા ઉદેપુર અને પંચમહાલના તળાવો ભરવાના ₹5500 કરોડના પ્રોજેક્ટથી 51,000 હેક્ટરથી વધુ જમીનને સિંચાઈનો લાભ મળશે. દાહોદના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે છેલ્લા બે દાયકામાં દાહોદ જિલ્લાને વિકાસની નવી દિશા મળી છે. અગાઉ વંચિત ગણાતો આ જિલ્લો આજે દેશના નકશામાં મહત્વનું સ્થાન ધરાવે છે. તેમણે જિલ્લામાં રેલવે ક્ષેત્રે મોટા રોકાણ, ઇલેક્ટ્રિકલ એન્જિન ઉત્પાદન એકમ અને રાષ્ટ્રીય રાજમાર્ગોના વિકાસથી આર્થિક પ્રગતિ તેજ બન્યાનો ઉલ્લેખ કર્યો. આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયા, રાજ્ય મંત્રી રમેશ કટારા, સહ પ્રભારી પી. સી. બરંડા, સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર અને ધારાસભ્યો શૈલેષ ભાભોર, બચુ ખાબડ, મહેન્દ્ર ભાભોર, મહેશ ભુરીયા તથા કનૈયાલાલ કિશોરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
દેવભૂમિ દ્વારકામાં ગાંજા સાથે એક ઝડપાયો:રૂ. 19,170નો જથ્થો જપ્ત, અન્યની શોધખોળ ચાલુ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નશીલા પદાર્થોના વેચાણ પર અંકુશ લાવવા માટે પોલીસે કાર્યવાહી તેજ કરી છે. કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામમાંથી એસ.ઓ.જી. ટીમે 54 વર્ષીય મહિપતસિંહ મનુભા જાડેજાને 383.4 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યા છે. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત આશરે ₹19,170 આંકવામાં આવી છે. જિલ્લા એસ.ઓ.જી. પીઆઈ કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ ટીમ કલ્યાણપુર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન એ.એસ.આઈ. કાનાભાઈ માડમ, ભીખાભાઈ ગાગીયા અને સુમાતભાઈ ભાટીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. બાતમીના આધારે ખાખરડા ગામમાં ખેતી સાથે સંકળાયેલા મહિપતસિંહ મનુભા અભેસંગ જાડેજાના રહેણાંક મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેમના ઘરમાંથી કુલ 383.4 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જે પોલીસે કબજે કર્યો હતો. આ મામલે વધુ પૂછપરછ કરતા જામનગરમાં રહેતા દિનેશ ગોજીયા નામના વ્યક્તિનું નામ પણ સામે આવ્યું છે. પોલીસે તેની સંડોવણી અંગે તપાસ શરૂ કરી છે અને તેને ઝડપી પાડવા માટે શોધખોળ હાથ ધરી છે. સમગ્ર ઘટના અંગે પોલીસે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસ ગાંજાનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
રાજ્ય સરકાર દ્વારા ભાવનગર મહાનગરપાલિકામાં એડમિનીસ્ટ્રેટર (વહીવટદાર) તરીકે નિમણૂક પામેલા હર્ષદ પટેલે વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. કાર્યભાર સંભાળતાની સાથે જ તેમણે શહેરની મુલાકાત લીધી હતી અને કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી વહીવટી પ્રક્રિયાઓને ગતિશીલ બનાવવાના સંકેત આપ્યા હતા. તેમજ નિયમિત ચૂંટાયેલી બોડીની નિમણૂક થાય ત્યાં સુધી શહેરનો વહીવટ સૂચારુ રીતે ચાલે, નાગરિકોને સમયસર સેવાઓ મળે અને પ્રજાને સ્પર્શતા પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ થાય તે માટે એડમિનીસ્ટ્રેટર દ્વારા અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તમામ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી આ અંગે ભાવનગર મહાનગરપાલિકાના એડમિનીસ્ટ્રેટર હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના એડમિનીસ્ટ્રેટર તરીકે રાજ્ય સરકાર તરફથી મારી નિમણૂક થઈ છે. આજે ભાવનગર શહેરની મુલાકાત લઈ અને ભાવનગર કોર્પોરેશનના જે અગત્યના તમામ વિભાગોના અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર સાથે તમામ વિભાગોની અલગ-અલગ કામગીરીની સમીક્ષા કરવામાં આવી. પ્રજાને સ્પર્શતા પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા પણ ચર્ચા જે રેગ્યુલર ચૂંટણી થઈ અને નિયમિત જે જનરલ સભા અને સ્ટેન્ડિંગ કમિટીની વ્યવસ્થા હોય છે એની નિમણૂક થાય એ દરમિયાન સુધી વહીવટ સુચારુ રીતે ચાલે. તમામ સેવાઓ લોકોને સમયસર મળી રહે, ચાલુ યોજનાઓ હોય એ સમયબદ્ધ રીતે આગળ વધે અને જે પ્રજાને સ્પર્શતા પ્રશ્નો હોય એનું સત્વરે નિરાકરણ થાય એ માટે અત્યારે કામગીરી અને હયાત વ્યવસ્થા છે એની સમીક્ષા કરવામાં આવી. આગળ વધુને વધુ સુદ્રઢ રીતે કઈ રીતે કરી શકાય એ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને સતત જે બાબતો હશે એનું રિવ્યુ કરવામાં આવશે. પાણીની વ્યવસ્થા વધુ સધન બનાવવા પણ સમીક્ષાભાવનગર શહેરને અલગ-અલગ ચાર સોર્સમાંથી જે પાણી આપવામાં આવે છે એ મુજબ શેત્રુંજી ડેમ, બોરતળાવ, પાણી પુરવઠા બોર્ડથી જે પાણી મળે છે અને જે એ રીતે ચાર અલગ-અલગ સોર્સમાંથી પાણી મળે છે, એ અત્યારે એનું જે વોટર ટ્રીટમેન્ટ ફેસિલિટી હોય એનો સુચારુ રીતે ઉપયોગ કરી અને નિયમિત શહેરમાં જે પાણી વિતરણ થાય છે એમાં કોઈ સમસ્યા હોય તો એનું તુરંત નિરાકરણ થાય અને લોકોને નિયમિત અને સ્વચ્છ પાણીનો પુરવઠો મળી રહે એ માટેની વ્યવસ્થા વધારે સઘન રીતે ચલાવવામાં આવે એ માટે પણ વિગતવાર સમીક્ષા કરવામાં આવી. શહેરને સ્પર્શતી ઈમરજન્સી બાબતોનું ત્વરિત નિરાકરણ લવાશે સામાન્ય સભા અને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જે કામો મંજૂર થયેલા હોય એ નિયમાનુસાર જે પ્રક્રિયા હશે એ આગળ એમાં વધશે. જે એના મંજૂરી મળી હોય, બજેટમાં જોગવાઈ થઈ ગયેલી હોય, અને ટેક્નિકલ અને વહીવટી પાસાઓ ધ્યાનમાં લઈ એની મંજૂરી હોય એ નિયમિત રીતે સુચારુ રીતે કામ ચાલશે. ઈમરજન્સીની કોઈ બાબતો હોય, અથવા શહેરને સ્પર્શતી કોઈ અગત્યની બાબત હોય અને વચગાળાના સમય દરમિયાન એનું નિરાકરણ કરવું જરૂરી હોય તો એનો નિર્ણય અમારા દ્વારા કરવામાં આવશે. પણ મોટાભાગે પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની જે બોડી હોય એ જમીનને લગતી બાબતો હોય, મોટી નાણાકીય બાબતો હોય, બજેટને લગતી બાબતો હોય કે મોટી નીતિવિષયક બાબતો હોય તો એમના દ્વારા નિયમિત રીતે કરવામાં આવતું હોય છે. વહીવટદારની નિમણૂક સરકારે એટલા માટે કરી કે વચ્ચેના સમય દરમિયાન કોઈ સમસ્યા હોય તો એનું તાત્કાલિક નિરાકરણ થાય, અને અગત્યની કોઈ પ્રજાને સ્પર્શતી બાબત હોય તો એના પર તુરંત ધ્યાન આપી શકાય એ માટે વહીવટદાર દ્વારા એના નિર્ણયો કરવામાં આવશે. કોરો પોતાની સમસ્યા ઓનલાઈને અને રૂબરૂમાં રજૂ કરી શકે છેકોર્પોરેશનનું કામ લોકોને સુવિધા આપવાનું છે, એટલે જે મારા અલગ-અલગ વિભાગના અધિકારીઓ છે, કમિશનર છે, એ લોકો અહીંયા કોર્પોરેશનમાં જ ફરજ બજાવે છે અને લોકોને જે પણ પ્રશ્ન હોય એ ઓનલાઈન માધ્યમથી, ફિઝિકલ માધ્યમથી, રૂબરૂમાં એ લોકો દરેક સમસ્યા રજૂ કરી શકે, અને એનું નિરાકરણ ઝડપથી કરવામાં આવશે, અને એના પર પૂરતું ધ્યાન આપવામાં આવશે. એટલે એ વ્યવસ્થાના ભાગરૂપે જ વહીવટદારની નિમણૂક કરવામાં આવે છે, જેથી કરીને કોર્પોરેશનને માર્ગદર્શન આપવામાં આવે અને જે લોકોને સ્પર્શતા કામો છે એ સત્વરે થાય.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પંથકમાં એક સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ખુલાસો થયો છે. આ ઘટના બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ 60 વર્ષના આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાટડી પંથકના એક ગામમાં 14 વર્ષની સગીરાને પેટમાં અસહ્ય દુઃખાવો ઉપડ્યો હતો. તેને તાત્કાલિક સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેણે એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. હોસ્પિટલના ડોકટરો દ્વારા આ બાબતે પોલીસને જાણ કરવામાં આવતા, પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. સગીરાના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે તે જ ગામના 60 વર્ષીય આધેડ આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, સગીરા આરોપી ભરવાડ શાદુળભાઈ ભગાભાઇના ઘરે ઘરકામ કરવા જતી હતી. તે દરમિયાન આરોપીએ સગીરાને લલચાવી ફોસલાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું, જેના પરિણામે તે ગર્ભવતી બની હતી. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તેને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ પાટડી પોલીસ મથકના પીઆઈ બી. સી. છત્રાલીયા ચલાવી રહ્યા છે.
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથના દરિયાકાંઠે આજે (15 માર્ચે) રવિવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. દરિયાના ઉછળતા મોજાંની મોજ માણવા ગયેલી એક મહિલા યાત્રિક અચાનક ઊંડા પાણીમાં તણાવા લાગી હતી. જોકે, કાંઠે હાજર સ્થાનિક યુવાનોની સમયસૂચકતા અને અદભૂત સાહસને કારણે મહિલાને નવજીવન મળ્યું છે. મોજમસ્તી બની જીવનું જોખમ રવિવારે બપોરે અંદાજે 3:30 વાગ્યાના સુમારે સોમનાથ બીચ પર યાત્રિકોની ભારે ભીડ હતી. આ દરમિયાન એક મહિલા પ્રવાસી દરિયાના મોજાંનો આનંદ લેવા કિનારાની નજીક ગઈ હતી. અચાનક સમુદ્રમાં કરંટ વધતા અને ઊંચા મોજાં ઉછળતા મહિલા સંતુલન ગુમાવી બેઠી હતી અને જોતજોતામાં દરિયાના ઊંડા પાણીમાં ખેંચાવા લાગી હતી. મહિલાને ડૂબતી જોઈ કિનારે ઉભેલા સહેલાણીઓમાં ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક યુવકો બન્યા 'દેવદૂત' મહિલાનો જીવ જોખમમાં જોઈને ત્યાં રોજી-રોટી કમાતા સ્થાનિક યુવકોએ જરાપણ વિલંબ કર્યા વગર મેદાને પડ્યા હતા. બીચ પર ફોટોગ્રાફી કરતા યુવકો, ઘોડેસવાર અને ઊંટસવાર સહિત અંદાજે 10 જેટલા યુવાનો દોરડા લઈને દરિયામાં કૂદી પડ્યા હતા. દરિયાના પ્રચંડ મોજાં અને ખેંચાણ વચ્ચે આ યુવકોએ માનવ સાંકળ રચી અને દોરડાની મદદથી મહિલા સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. ભારે જહેમત બાદ મહિલાને સુરક્ષિત રીતે દરિયાની બહાર કાઢી લાવવામાં આવી હતી. ઉપસ્થિત લોકોના મતે, જો આ યુવકોએ સેકન્ડોની પણ વાર કરી હોત, તો મહિલાનું મોત નિશ્ચિત હતું. સ્થાનિક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, જો આ યુવાનો સમયસર ન પહોંચ્યા હોત તો મોટી જાનહાનિ થઈ હોત. આ યુવકોએ પોતાની જિંદગીની પરવા કર્યા વગર જે માનવતા બતાવી છે તે ખરેખર વંદનીય છે. નિષેધ હોવા છતાં બેદરકારી નોંધનીય છે કે, સોમનાથનો દરિયા કિનારો અત્યંત જોખમી માનવામાં આવે છે. અહીં અગાઉ પણ અનેક ડૂબી જવાની ઘટનાઓ બની હોવાથી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા દરિયામાં નહાવા કે ઉતરવા પર પ્રતિબંધાત્મક જાહેરનામું અમલમાં છે. તેમ છતાં, પ્રવાસીઓ ઉત્સાહમાં આવીને જોખમ ખેડતા હોય છે, જે ક્યારેક જીવલેણ સાબિત થાય છે.
સુરત શહેરના ચોકબજાર વિસ્તારમાં ઇલેક્ટ્રિકના સાધનો ખરીદી કરી તેનું પેમેન્ટ ચૂકવ્યા વગર છેતરપિંડી આચરી છેલ્લા 10 મહિનાથી નાસતા ફરતા આરોપીને પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે. આરોપી અમદાવાદના વંથલ ગામના આશ્રમમાં પોતાની ઓળખ છુપાવી 'લાલો' નામ રાખી ગૌશાળામાં સેવા કરી રહ્યો હતો, જ્યાંથી સુરત પોલીસે તેને દબોચી લીધો છે. શું હતો સમગ્ર મામલો?બોટાદ જિલ્લાના બરવાળાનો રહેવાસી ધનંજય નરસિંહભાઈ છેટા (ઉં.વ. 39)એ ડિસેમ્બર, 2024માં એક વેપારી પાસેથી મોબાઈલ હેન્ડસેટ, સ્માર્ટ વોચ અને બ્લૂ-ટુથ જેવી એસેસરીઝ મળી કુલ રૂ. 11,79,499નો માલ ખરીદ્યો હતો. બજારના નિયમ મુજબ 30 દિવસમાં નાણાં ચૂકવવાની ખાતરી આપી હોવા છતાં તેણે પેમેન્ટ કર્યું નહોતું અને છેતરપિંડી આચરી ફરાર થઈ ગયો હતો. આ મામલે ચોકબજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે 'દર્શનાર્થી' બની છટકું ગોઠવ્યુંઆરોપીને પકડવા માટે પી.આઈ. એન.જી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. વી.ટી. ડોડીયાની ટીમે ટેકનિકલ એનાલિસિસ હાથ ધર્યું હતું. પોલીસને બાતમી મળી હતી કે, આરોપી વિરમગામના વંથલ ગામે આવેલા શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજ આનંદ આશ્રમમાં નામ બદલીને રહે છે. પોલીસની ટીમ દર્શનાર્થી બનીને આશ્રમમાં પહોંચી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે 'લાલો' નામનો વ્યક્તિ ગૌશાળામાં સૂતો છે. પોલીસે મોકો જોઈ ગૌશાળામાંથી જ ઊંઘતી હાલતમાં ધનંજયને ઝડપી પાડ્યો હતો. આરોપીનો ગુનાહિત ઇતિહાસઆરોપી ધનંજય નરસિંહભાઈ છેટા (ઉં.વ. 39 રહે. પુરાણીયા શેરી, રામપરા ગામ, તા-બરવાળા, જિ. બોટાદ) સામે અગાઉ ગુનો નોંધાઈ ચુક્યો છે. 2016માં વરાછા પોલીસ મથકે કલમ 406, 420 હેઠળ છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. જ્યારે હાલ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં BNS-2023ની કલમ 318(4) મુજબ ગુનો દાખલ કરીને ઝડપી પાડ્યો હતો.

26 C