વલસાડ તાલુકાના કકવાડી ખાડી પાસે માછીમારી બોટમાં એક માછીમારનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે. મૃતદેહ બોટના કેબિનમાંથી મોઢામાંથી લોહી નીકળેલી હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટનાને પગલે ડુંગરી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નાની વહીયાળના વાંકા ફળીયામાં રહેતા મુકેશભાઈ શંકરભાઈ પટેલ (ઉ.વ. 54) ‘હરીપ્રસાદ’ (IND.GJ.15.MM.4084) નામની બોટમાં માછીમારી કરવા કકવાડી મેથીયા ફળિયા ખાડીના કિનારે ગયા હતા. આ બનાવ અંગે નાની વહીયાળના બરફટા ફળીયામાં રહેતા અશોકકુમાર રમેશભાઈ પટેલે (ઉ.વ. 33) ડુંગરી પોલીસને જાણ કરી હતી. મુકેશભાઈનું મોત 23 માર્ચ 2026ના રાત્રે 10:30થી 24 માર્ચ 2026ના સવારે 6:30 દરમિયાન કોઈપણ સમયે થયું હોવાનું મનાય છે. તેઓ સવારે બોટના કેબિનમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. મૃતકના શરીર પર બહારથી કોઈ ઇજાના નિશાન જોવા મળ્યા નહોતા. જોકે, તેમના મોઢાના ભાગેથી લોહી નીકળી સુકાઈ ગયેલું હતું, જેના કારણે તેમના મોતનું કારણ અસ્પષ્ટ બન્યું છે. ડુંગરી પોલીસે આ બનાવ અંગે BNSS કલમ 194 હેઠળ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
78 ટકા ભારતીયોના લોહીમાં કેન્સરજન્ય જંતુનાશકોની હાજરી
- અભ્યાસનું તારણ : 93 ટકા શહેરી વસતીના લોહીમાં જંતુનાશકોનું પ્રમાણ ચિંતાજનક સ્તરે, 36 ટકા લોકોમાં 3થી વધારે કેમિકલ્સના તત્ત્વો મળ્યા - 54 ટકા લોકોમાં એન્ટિબાયોટિક્સનું પ્રમાણ વધારે નોંધાયું હતું. બીજી તરફ 39 ટકા લોકોના લોહીમાં સ્ટીરોઈડ્સની હાજરી જોવા મળી હતી. તેના પગલે જ લોકોમાં હોર્મનના અસંતુલ અને કેન્સર જેવી જોખમી બિમારીઓમાં વધારો થયો છે : નોનસ્ટિક વાસણો આવે છે તેમાં પણ કેટલાક કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આવા વાસણોમાં લાંબો સમય રાંધેલું ભોજન કરવાથી પણ લોકોને ગંભીર બિમારીઓ થઈ શકે છે. એક અહેવાલ પ્રમાણે લોકોને કેન્સર, નપુંસકતા, થાઈરોઈડ અને લિવરની બિમારીઓ થઈ શકે છે : ઘરમાં છંટાતા કે મશીનો દ્વારા ચાલુ રખાતા જંતુનાશકો દ્વારા મચ્છરો અને માખીઓ તેનાથી દૂર રહે છે પણ તેની આડઅસરો ભયાનક છે.
સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના પડતર પ્રશ્નોને વાચા આપવા માટે નીકળેલી 'ખેડૂત સંકલ્પ યાત્રા' અત્યારે વિવાદ અને ચર્ચાનું કેન્દ્ર બની છે. તુલસીશ્યામથી પ્રારંભ થયેલી આ યાત્રા વિવિધ શહેરો અને ગામડાઓમાંથી પસાર થઈને જુનાગઢ જિલ્લાના કેશોદ પહોંચી છે. આ યાત્રાનો મુખ્ય આશય ખેડૂતોને એક મંચ પર લાવી, દેવા માફી, સિંચાઈનું પાણી અને પાકના પોષણક્ષમ ભાવ જેવા પાયાના મુદ્દાઓ પર બિન-રાજકીય સંગઠન ઊભું કરવાનો છે. યાત્રાના આયોજકો ખેડૂતોને મળીને નકલી બિયારણ, ખાતરની અછત અને વીજ કંપનીઓની મુશ્કેલીઓ સાંભળી રહ્યા છે અને આગામી દિવસોમાં ટ્રેક્ટર રેલી દ્વારા મજબૂત શક્તિ પ્રદર્શનની તૈયારી કરી રહ્યાં છે. જોકે આ યાત્રાની ગતિવિધિઓ પર હવે વિપક્ષી નેતાઓ દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે જેને કારણે સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. પ્રવીણ રામે કહ્યું કે, ખેડૂતોના મતોનું વિભાજન કરવા ખેલ ખેલાઈ રહ્યો છે. જ્યારે તેના આક્ષેપ પર જવાબ આપતાં રાજુ કરપડાએ કહ્યું, ખેડૂતોનું મજબૂત સંગઠન બનતું જોઈને પેટમાં તેલ રેડાઈ રહ્યું છે. 'કેશોદની રાત્રી સભામાં માંડ 50 જેટલા લોકો હાજર હતા'AAPના નેતા પ્રવીણ રામ દ્વારા આ યાત્રા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. દાવો કર્યો છે કે, આ યાત્રામાં સ્થાનિક ખેડૂતોની હાજરી નહિવત છે અને સભાઓમાં માત્ર ગણ્યા-ગાંઠ્યા લોકો જ જોવા મળે છે. પ્રવીણ રામે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, કેશોદની રાત્રી સભામાં માંડ 50 જેટલા લોકો હાજર હતા. 'ખેડૂતોના મતોનું વિભાજન કરવા ખેલ ખેલાઈ રહ્યો છે'આ ખેડૂત સંકલ્પ યાત્રાને પ્રવીણ રામ દ્વારા એક 'રાજકીય ષડયંત્ર' તરીકે જોવામાં આવી રહી છે. રામ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે, સત્તાધારી પક્ષના ઈશારે ખેડૂતોના મતોનું વિભાજન કરવા અને ખેડૂત નેતા તરીકેની નવી છાપ ઊભી કરવા માટે આ આખો ખેલ ખેલાઈ રહ્યો છે. ખેડૂતોને ગુમરાહ કરી અંધારામાં રાખવામાં આવી રહ્યા છે. 'ડરી ગયા હોય તેમને જ રડવું આવતું હોય છે'પ્રવીણ રામે ખેડૂત નેતા રાજુ કરપડા સામે પ્રહાર કરતા કહ્યું કે, તે ગમે તેટલી વાર રોયા હોય પણ તેઓ ડગ્યા નથી અને ખેડૂતોની સાથે જ છે. જે લોકો ડરી ગયા હોય અથવા ડગી ગયા હોય તેમને જ રડવું આવતું હોય છે, પરંતુ સત્ય જનતા સમક્ષ મૂકવું એ એક જાગૃત વિપક્ષ તરીકે તેમની નૈતિક ફરજ છે. 'ગામડાઓના ખેડૂતોને મળીને તેમના પ્રશ્નો સાંભળ્યા'રાજુ કરપડાએ જણાવ્યું હતું કે, ખેડૂત સંકલ્પ યાત્રા 19 માર્ચ 2026ના રોજ તુલસીશ્યામથી પ્રસ્થાન થઈ હતી અને તે કેશોદ પહોંચતા સુધીમાં અનેક ગામડાઓના ખેડૂતોને મળીને તેમના પ્રશ્નો સાંભળવામાં આવ્યા છે. તેઓનું કહેવું છે કે તેઓ રાજકીય હોદ્દાઓ ત્યજીને ખેડૂતોની વચ્ચે આવ્યા છે અને જે તે સમયે પક્ષમાં હતા ત્યારે પણ ખેડૂતોના સમર્થનથી જ મજબૂત હતા. 'ખેડૂતોનું મજબૂત સંગઠન બનતું જોઈને પેટમાં તેલ રેડાઈ રહ્યું છે'કરપડાએ જણાવ્યું હતું કે, તેઓ પોતે પ્રદેશ સ્તરના નેતા હતા પરંતુ પદ છોડીને ફરી ખેડૂતોના હિત માટે મેદાનમાં ઉતર્યા છે. '2000 કરોડના બજેટની જાહેરાત માત્ર વાતો પૂરતી જ રાખી'રાજુ કરપડાએ ખેડૂતોની સમસ્યાઓ પર પ્રકાશ પાડતા કહ્યું કે, હાલમાં ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાયેલા છે અને તેમને સિંચાઈનું પાણી મળતું નથી. બજારમાં નકલી ખાતર અને બિયારણનો રાફડો ફાટ્યો છે જેના કારણે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. વીજ કંપનીઓની દાદાગીરી પણ ચરમસીમાએ છે. આ યાત્રાના માધ્યમથી તેઓ દેવા માફી, પૂરતું સિંચાઈનું પાણી અને ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ જેવા ત્રણ મુખ્ય મુદ્દાઓ પર ખેડૂતોને સંગઠિત કરી રહ્યા છે. તેમણે ઘેડ પંથકના પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે સરકારે 2000 કરોડના બજેટની જાહેરાત માત્ર વાતો પૂરતી જ રાખી છે, હજુ સુધી જમીની સ્તર પર કોઈ કામ શરૂ થયું નથી. તેઓ આ મુદ્દે બિન-રાજકીય લડાઈ લડવા કટિબદ્ધ છે. સુદામડા ગામે ભવ્ય ટ્રેક્ટર રેલી સાથે યાત્રાનું સમાપન થશેઆ યાત્રાના સમાપન વિશે માહિતી આપતા આયોજકોએ જણાવ્યું કે આગામી 24 માર્ચ 2026ના રોજ સુદામડા ગામે ભવ્ય ટ્રેક્ટર રેલી સાથે આ યાત્રાનું સમાપન થશે. અત્યાર સુધીમાં જે જે ગામોમાંથી યાત્રા પસાર થઈ છે ત્યાં ખેડૂત સમિતિઓની રચના કરવામાં આવી છે. 'ખેડૂતોના પ્રશ્નો માટે લડશે તે પાર્ટીને સપોર્ટ કરીશ'-કરપડારાજુ કરપડાએ ઉમેર્યું કે, જો કોઈ રાજકીય પાર્ટી પ્રમાણિકતાથી ખેડૂતોના પ્રશ્નો માટે લડશે તો તેઓ તેવી પાર્ટીને સપોર્ટ કરવામાં અચકાશે નહીં. આમ, એક તરફ ખેડૂતોના પ્રશ્નો માટે બિન-રાજકીય લડાઈ લડવાનો દાવો છે, તો બીજી તરફ આ હિલચાલ પાછળ ચોક્કસ રાજકીય પક્ષનો હાથ હોવાના આક્ષેપોથી ગ્રામ્ય રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. 'એક મજબૂત અને બિન-રાજકીય ખેડૂત સંગઠન ઊભું થશે'વધુમાં રાજુ કરપડાએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, ખેડૂતોનો પ્રેમ તેમની સાથે હંમેશા રહ્યો છે અને રહેશે. તેઓ જ્યારે કોઈ પક્ષમાં નહોતા ત્યારે પણ ખેડૂતો તેમની સાથે હતા અને આજે પણ છે. અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ એક મજબૂત અને બિન-રાજકીય ખેડૂત સંગઠન ઊભું થશે જે સરકાર સામે મજબૂતાઈથી પોતાની વાત રજૂ કરશે. 'ખેડૂતો જાગૃત થાય છે ત્યારે નેતાઓને ભય લાગે એ સ્વાભાવિક છે'પ્રવીણ રામના આક્ષેપો સામે લડત આપતા તેમણે કહ્યું કે, જ્યારે ખેડૂતો જાગૃત થાય છે ત્યારે નેતાઓને ભય લાગે એ સ્વાભાવિક છે. ખેડૂત સંકલ્પ યાત્રાના પડઘા હવે છેક પાટનગર સુધી સંભળાઈ રહ્યા છે ત્યારે આગામી ટ્રેક્ટર રેલીમાં ખેડૂતોની તાકાત કેટલી હશે તે તો સમય જ બતાવશે. હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં આ સંગઠન ખેડૂતોના પ્રશ્નોનું ખરેખર નિરાકરણ લાવે છે કે પછી રાજકીય આક્ષેપબાજીમાં જ આખું આંદોલન અટવાઈ જાય છે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં તમે જાણ્યું કે રાજપીપળામાં કરજણ નદીના કિનારે આવેલી એક અવાવરૂ સરકારી બિલ્ડિંગના ધાબા પરથી 2 લાશ મળી હતી. આ લાશ હસમુખ અને વાસંતી નામના પ્રેમી-પ્રેમિકાની હતી. કોઇએ માથામાં બોથડ પદાર્થના ઘા મારીને બન્નેને મોતને ઘાટ ઉતારી દીધા હતા. સૌથી પહેલાં 3 મિત્રોએ સાંજના સમયે આ લાશ જોઇ અને પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ શરૂ કરી પણ કોઇ સાક્ષી કે CCTV નહોતા એટલે પોલીસે ઘટનાસ્થળથી એકાદ કિલોમીટર દૂર આવેલી વસતિમાં જઇને પૂછપરછ કરવાનું નક્કી કર્યું હતું. પહેલા દિવસે જ્યારે પોલીસે પૂછપરછ કરી ત્યારે જેટલા લોકો હાજર હતા તેમાંથી બીજા દિવસે એક યુવતી ગુમ થઇ ગઇ હતી. પોલીસ આ યુવતીને પકડી લાવી અને તેની પૂછપરછ કરી. હવે આગળ વાંચો.... યુવતીએ પોલીસને કહ્યું કે ધર્મેશ હસમુખ અને વાસંતીને મારી નાખવાનું કહેતો હતો. પોલીસને પહેલેથી આશંકા હતી કે હસમુખ અને વાસંતીની હત્યા પાછળ આ વસતિમાંથી જ કોઇનો હાથ હોઇ શકે છે. જેથી પહેલેથી જ નજર રાખી હતી. યુવતીએ ધર્મેશનું નામ આપતા પોલીસ તરત જ તેને ઉપાડી લાવી. હવે ધર્મેશની પૂછપરછ થવાની હતી અને ટોક ઓફ ધ ટાઉન બનેલા આ ડબલ મર્ડર વિશે ખુલાસા થવાના હતા. ધર્મેશને પોલીસ સ્ટેશનના એક રૂમમાં બેસાડવામાં આવ્યો. તેની ચારેતરફ પોલીસ ગોઠવાઇ ગઇ. પોલીસઃ હસમુખ અને વાસંતીની હત્યા તે કરી છે?ધર્મેશઃ સાહેબ, આ શું કહો છો? મને તો આના વિશે કંઇ ખબર જ નથી. સામાન્ય રીતે પોલીસને આરોપીઓના આવા જવાબનો દરરોજ સામનો થતો હોય છે. તેમને તરત ખ્યાલ આવી જતો હોય છે કે આરોપી સાચું બોલે છે કે ખોટું. ધર્મેશના કિસ્સામાં પણ આવું જ થયું. ધર્મેશ ભલે એવું કહી રહ્યો હોય કે તેને કંઇ ખબર જ નથી પરંતુ તેના હાવભાવે પોલીસ સામે બધું સ્પષ્ટ કરી દીધું. પોલીસને ખ્યાલ આવી ગયો કે ધર્મેશ પાસેથી હકીકત જાણવા માટે હવે બીજો જ કોઇ રસ્તો અપનાવવો પડશે એટલે પોલીસે હવે ધર્મેશની 'આકરી' પૂછપરછ શરૂ કરી. ચોમાસાની સિઝન ચાલી રહી હતી પણ પોલીસનો આકરો તાપ ધર્મેશથી સહન ન થયો અને તે પોપટની જેમ બધું બોલવા લાગ્યો. છેલ્લા કેટલાક સમયથી એક સ્ત્રી ધર્મેશને મળવા આવતી હતી. ધર્મેશની સાથે રહેતી પ્રેમિકાએ જ્યારે તેને પૂછ્યું કે આ કોણ છે? તો તેણે કહ્યું હતું કે આ વાસંતી છે, હસમુખ સાથે જૂના અખાડાની બાજુમાં રહે છે. ધીરે ધીરે બન્ને વચ્ચેની નિકટતા વધી રહી હતી. બન્ને વારંવાર મળવા લાગ્યા અને વાતો કરતા હતા. જેથી ધર્મેશની પ્રેમિકાએ તેને વાસંતી સાથે વાત કરવાની ના પાડી હતી. ધર્મેશનો સ્વભાવ ગુસ્સાવાળો હતો. પ્રેમિકાએ તેને ના પાડતા તે તેના પર ગુસ્સે થઇ જતો અને તેને માર મારવા લાગતો હતો. જેથી યુવતી ડરી ગઇ હતી અને ધર્મેશને કંઇ કહી શકતી નહોતી. ધર્મેશ ઘંટી વેચવાનું કામ કરતો હતો. એ ઘંટી વેચવા જાય ત્યારે વાસંતીનો પતિ હસમુખ તેના ઘર પાસે આવી જતો અને ધર્મેશની પ્રેમિકાને જોતો રહેતો. ધર્મેશ આવે તે પહેલાં પાછો જતો રહેતો. આમ હસમુખની પ્રેમિકા ધર્મેશ સાથે વાતો કરતી. જ્યારે હસમુખ ધર્મેશની પ્રેમિકા પાછળ પડ્યો હતો. ક્યારેક વાસંતી હસમુખને શોધતી શોધતી ધર્મેશના ઘર પાસે આવી ચડતી અને હસમુખ સાથે ઝઘડો કરતી કે તુ અહીંયા કેમ આવે છે? ધીમે ધીમે એ યુવતીને જાણ થઇ કે વાસંતી અને ધર્મેશ વચ્ચે આડા સંબંધ છે તો બીજીતરફ હસમુખ પુલ નીચે બેસવા આવતો હોવાથી પોતાની પ્રેમિકા સાથે તેને આડા સંબંધ હોવાનો વહેમ ધર્મેશને હતો. જેથી ધર્મેશ મનમાં ધૂંધવાયેલો જ રહેતો હતો. હસમુખ અને વાસંતીની હત્યાના એકાદ મહિના પહેલાં ધર્મેશ ઘંટી વેચવા ગયો હતો. આ સમયે હસમુખ ફરી તેના ઘર પાસે આવ્યો હતો. જો કે થોડા જ સમયમાં ધર્મેશ પાછો આવી ગયો હતો અને તેણે પોતાની પ્રેમિકાને પૂછ્યું હતું કે આ હસમુખ અહીંયા કેમ આવે છે? જેથી તેની પ્રેમિકાએ કહ્યું હતું કે આ તો રોજ આવે છે અને મને હેરાન કરે છે. પ્રેમિકાની આ વાતથી ધર્મેશ ગુસ્સે ભરાયો. તે સીધો જ હસમુખ પાસે પહોંચી ગયો અને બોલ્યો કે તુ રોજ કેમ અહીંયા આવે છે? હસમુખે જરાપણ ખચકાટ વિના ફક્ત એટલું જ કહ્યું કે હું તો ખાલી અહીંયા આવું છું. આ જવાબ બાદ ધર્મેશ અને હસમુખ વચ્ચે ઝઘડો થયો હતો. જો કે એ પછી હસમુખે આવવાનું બંધ કરી દીધું હતું પણ તેની પ્રેમિકા વાસંતી ધર્મેશને મળવા આવતી રહેતી હતી. આ ઘટનાના અઠવાડિયા પછી વાસંતીએ ધર્મેશ અને તેની પ્રેમિકાને જમવાનું આમંત્રણ આપ્યું હતું. 21 જુલાઇ, 2021રાતનો સમય હતો. ધર્મેશની પ્રેમિકા રસોઇ બનાવીને બેઠી હતી. એટલામાં જ ધર્મેશ ઘરે આવ્યો અને તેણે પ્રેમિકાને કહ્યું, વાસંતીએ આપણને જમવા બોલાવ્યા છે. પ્રેમિકાઃ પણ મેં તો જમવાનું બનાવી લીધું છે.ધર્મેશઃ કંઇ વાંધો નહીં, તે જે બનાવ્યું છે એ સવારે ખાઇ લઇશું. અત્યારે વાસંતીને ત્યાં જતાં આવીએ. આ સંવાદ પછી ધર્મેશ અને તેની પ્રેમિકા તૈયાર થઇને વાસંતીના ઘરે જમવા ગયા હતા. વાસંતીએ બન્ને માટે નોનવેજ બનાવી રાખ્યું હતું. ધર્મેશ, તેની પ્રેમિકા અને હસમુખ-વાસંતી આમ ચારેય લોકો ધાબા પર સાથે જમ્યા હતા. રાત્રે નવેક વાગ્યાના અરસામાં ધર્મેશ અને તેની પ્રેમિકા જમીને પાછા જતા રહ્યાં હતા. આ તરફ વાસંતી અને હસમુખ એકલા પડ્યા હતા. જમી લીધા બાદ તેમણે પોતાના રોલ કરેલા ગોદડાં છોડ્યા અને પથારી તૈયાર કરી દીધી. બન્ને સૂવાની તૈયારીમાં હતા પણ ધર્મેશના મનમાં કંઇ અલગ જ ખેલ ચાલી રહ્યો હતો. આ સમયે ધર્મેશે રેલવે પુલ સુધી આવ્યા બાદ બાઇક ઊભી રાખીને ગુસ્સામાં કંઇક બબડવાનું શરૂ કરી દીધું હતું. પ્રેમિકાને ઘર સુધી લાવ્યા બાદ તે પાછો વાસંતી અને હસમુખ જ્યાં રહેતા હતા ત્યાં ગયો હતો. ધર્મેશનું આ વર્તન જોઇને તેની પ્રેમિકાને નવાઇ લાગી. તેણે ધર્મેશનો પીછો કરવાનું નક્કી કર્યું. તે છુપાતી છુપાતી ધર્મેશની પાછળ ગઇ. તેણે થોડે દૂરથી જોયું તો ધર્મેશ ધાબા પર જઇને હસમુખ સાથે ઝઘડો કરી રહ્યો હતો. ધીરે ધીરે ધર્મેશ અને હસમુખ વચ્ચેનો ઝઘડો ઉગ્ર બની ગયો. ધર્મેશનો અવાજ ઊંચો થવા લાગ્યો. તેની પ્રેમિકા જ્યાંથી ઊભી-ઊભી આ બધું જોતી હતી ત્યાં સુધી અવાજ સ્પષ્ટ આવવા લાગ્યો. ધર્મેશ હસમુખને કહી રહ્યો હતો કે તુ મારા ઘર બાજુ કેમ આવે છે? મારી પ્રેમિકા પર નજર નાખ્યા કરે છે, તેની સાથે સૂવે છે, આજે તો હું તને પતાવી દઇશ. હવે વાત વણસી રહી હતી. બન્ને વચ્ચેનો ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો. અચાનક હસમુખના હાથમાં ક્યાંકથી એક લાકડું આવી ગયું. તેણે જોરથી ધર્મેશના પગમાં મારી દીધું. બીજીતરફ ધર્મેશના હાથમાં પણ એક લાકડું આવી ગયું હતું. હસમુખે પગમાં માર્યું હોવાથી ધર્મેશને ગુસ્સો આવ્યો અને તેણે જેટલું બળ હતું તેટલું વાપરીને હસમુખના માથામાં લાકડું ફટકારી દીધું. ધડામ.... અવાજ સાથે હસમુખ નીચે પડી ગયો. તેના રામ રમી ગયા. આ દૃશ્ય જોઇને વાસંતીએ બૂમાબૂમ કરી મૂકી. જેનાથી ધર્મેશ ગભરાઇ ગયો. તેને ડર લાગ્યો કે વાસંતીની બૂમો સાંભળીને ક્યાંક લોકો ભેગા થઇ ન જાય અને બધી ખબર પડી ન જાય. આ ડરમાંને ડરમાં ધર્મેશ લાકડું સાઇડમાં ફેંકીને બાજુમાં પડેલી ઇંટ ઉપાડીને ઉપરાઉપરી વાસંતીના માથામાં મારવા લાગ્યો. હવે વાસંતી પણ ઢળી પડી. વાસંતી અને હસમુખની હત્યા કર્યા બાદ ધર્મેશ જ્યારે પાછો આવતો હતો ત્યારે તેની પ્રેમિકાએ જાણે કે તેને કંઇ ખબર જ ન હોય તેવો ડોળ કર્યો. હસમુખે પગમાં લાકડું ફટકાર્યું હોવાથી ધર્મેશ લંગડાતો ચાલતો હતો. તેની પ્રેમિકાએ અજાણી બનીને તેને પૂછ્યું કે આ પગમાં શું વાગ્યું છે? ધર્મેશ ગુસ્સામાં બોલ્યો કે તું આ બાબતે કંઇ પૂછીશ નહીં. નહીંતર તારે પણ જાનથી હાથ ધોવા પડશે. આના પછી બન્ને યુવતીના મામાના ઘરે જતાં રહ્યાં હતા અને મોડી રાત્રે પોતાના ઘરે પાછા ફર્યા હતા. આમ ધર્મેશે હસમુખ અને વાસંતીની હત્યા કર્યાનું ખૂલ્યું હતું. પોલીસે જ્યારે તપાસ કરી તો ધર્મેશે હત્યા કર્યા બાદ રેલવે બ્રિજ જવાના કાચા રસ્તાની બાજુમાં પ્લાસ્ટિકની કોથળીમાં ભરીને ફેંકી દીધેલા કપડાં મળી આવ્યા હતા. જ્યારે હત્યામાં વપરાયેલી ઇંટ અવાવરું બિલ્ડિંગની બાજુમાં આવેલી અન્ય એક બિલ્ડિંગ પાસેથી મળી આવી હતી. ધર્મેશે લાકડું ઝાડીઓમાં ફેંકી દીધું હતું. ધર્મેશ જેની સાથે રહેતો હતો તે પ્રેમિકા સગીર વયની હોવાનું ખૂલતાં ધર્મેશ પર પોક્સોની કલમ પણ લગાવવામાં આવી હતી. કોર્ટે ધર્મેશને દોષિત જાહેર કરીને આજીવન કેદની સજા ફટકારી છે. હાલ ધર્મેશ જેલના સળિયા ગણી રહ્યો છે. વાસંતીનું આમંત્રણ કાળ બની ગયું, વાંચો પાર્ટ-1
નમસ્તે, ગઈકાલના મુખ્ય સમાચાર યુદ્ધ વચ્ચે પહેલીવાર વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી વાતચીતને લઈને રહ્યા. બીજા મોટા સમાચાર રાજ્યસભામાં PM મોદીના નિવેદનના રહ્યા. તેમણે કહ્યું કે જો યુદ્ધ ચાલુ રહેશે તો ગંભીર પરિણામો આવશે. બીજી તરફ, IPLની સૌથી મોંઘી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) બની ગઈ છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. કેન્દ્ર સરકારે પશ્ચિમ એશિયામાં વધતા સંકટ પર ચર્ચા કરવા માટે એક સર્વપક્ષીય બેઠક બોલાવી છે. 2. રાહુલ ગાંધી કેરળ વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાનની શરૂઆત કરશે. તેઓ કોઝીકોડમાં જનસભા કરશે. કાલના મોટા સમાચારો 1. યુદ્ધ વચ્ચે ટ્રમ્પે મોદીને ફોન કર્યો:હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે બંને સહમત; રિપોર્ટ- અમેરિકા સાથે વાતચીત કરવા ઈરાન તૈયાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં આ માહિતી શેર કરી હતી. તેમના કહેવા મુજબ, બંને નેતાઓએ મિડલ ઈસ્ટની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી, ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લું રાખવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. બીજી બાજુ, અહેવાલો સૂચવે છે કે ઈરાનના સુપ્રીમ લીડર મુજતબા ખામેની અમેરિકા સાથે વાતચીત માટે તૈયાર છે. ખામેની ઈરાનની શરતો પર શક્ય તેટલી વહેલી તકે યુદ્ધનો અંત લાવવા સંમત થયા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. લોકસભા પછી રાજ્યસભામાં પણ મોદીની ચેતવણી:આવનારા સમયમાં મોટું સંકટ આવી શકે એમ છે, દેશ તૈયાર રહે; શાંત મનથી આપણે દરેક પડકારો ઝીલવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાજ્યસભામાં પશ્ચિમ એશિયાની સ્થિતિ પર 21 મિનિટ સુધી વાત કરી. તેમણે કહ્યું કે જો અમેરિકા-ઇઝરાયલનું ઈરાન સાથે યુદ્ધ ચાલુ રહેશે તો તેના ગંભીર પરિણામો આવશે. આવનારો સમય દેશની સૌથી મોટી કસોટી લેવાનો છે. આમાં રાજ્યોનો સહયોગ જરૂરી છે. ટીમ ઇન્ડિયાની જેમ કામ કરવું પડશે. તેમણે કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટમાં આપણા જહાજો અને ભારતીય ક્રૂ ફસાયેલા છે. આ ચિંતાજનક છે. આપણા વેપારના માર્ગો પ્રભાવિત થઈ રહ્યા છે. ગેસ-તેલ, ખાતરો જેવી આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા પર અસર પડી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ટ્રેનની-ટિકિટ 8 કલાક પહેલાં રદ કરાવશો તો જ રિફંડ મળશે:1 એપ્રિલથી કેન્સલેશનના નિયમમાં ફેરફાર, બોર્ડિંગ સ્ટેશન ચેન્જ કરવાનો નિયમ પણ બદલાશે ભારતીય રેલવેએ ટિકિટ રદ કરવાના નિયમો બદલી નાખ્યા છે. હવે જો કોઈ મુસાફર ટ્રેનના સમયથી 8 કલાકથી ઓછા સમય પહેલા ટિકિટ રદ કરે છે, તો તેને કોઈ પૈસા પાછા મળશે નહીં. એટલે કે, જો તમારી ટ્રેન સાંજે 6 વાગ્યે છે, તો તમારે સવારે 10 વાગ્યા પહેલા ટિકિટ રદ કરવી પડશે, તો જ રિફંડ મળશે. પહેલા આ સમય 4 કલાકનો હતો અને ત્યારે 50% રિફંડ મળતું હતું. હવે સમય વધારીને 8 કલાક કરવામાં આવ્યો છે, પરંતુ 24 થી 8 કલાકની વચ્ચે રદ કરવા પર હજુ પણ 50% પૈસા જ પાછા મળશે. આ ઉપરાંત, હવે મુસાફરો ટ્રેન છૂટવાના 30 મિનિટ પહેલા સુધી પોતાનું બોર્ડિંગ સ્ટેશન પણ બદલી શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ધર્મ બદલતાં જ અનુસૂચિત જાતિનો દરજ્જો ખતમ!:માત્ર હિન્દુ-બૌદ્ધ-શીખ જ SC કેટેગરીમાં ગણાશે, મુસ્લિમ કે ખ્રિસ્તી બનો તો આ દરજ્જો ખતમ; સુપ્રીમનો મોટો નિર્ણય સુપ્રીમ કોર્ટે મંગળવારે જણાવ્યું હતું કે ફક્ત હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા લોકો જ અનુસૂચિત જાતિનો દરજ્જો મેળવી શકે છે. જો કોઈ મુસ્લિમ, ખ્રિસ્તી કે અન્ય કોઈ ધર્મમાં પરિવર્તન કરે છે, તો તે અનુસૂચિત જાતિનો દરજ્જો ગુમાવી દેશે. ટૂંકમાં ધર્મ બદલતાં જ SC (શિડ્યુલ કાસ્ટ)નો દરજ્જો ખતમ થઈ ગયો ગણાશે. જસ્ટિસ પીકે મિશ્રા અને જસ્ટિસ મનમોહનની બેન્ચે ચુકાદો આપતા કહ્યું કે ખ્રિસ્તી ધર્મ અપનાવનાર દલિત વ્યક્તિ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ મળતા કોઈપણ લાભનો દાવો કરી શકતો નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 5. IPL પહેલાં રાજસ્થાન રોયલ્સ અને RCBની જંગી ડીલ:RRને અમેરિકી બિઝનેસમેને 15,000 કરોડમાં ખરીદી; આદિત્ય બિરલા ગ્રુપે 16,600 કરોડમાં RCB ખરીદી રાજસ્થાન રોયલ્સ 1.63 બિલિયન ડોલર એટલે કે લગભગ 15,289 કરોડ રૂપિયાની રેકોર્ડ બોલી સાથે વેચાઈ ગઈ છે. આ સાથે રાજસ્થાન IPLની સૌથી મોંઘી ટીમ બની ગઈ છે. ભારતીય મૂળના અમેરિકી બિઝનેસમેન કાલ સોમાણી અને તેમના કન્સોર્ટિયમે ફ્રેન્ચાઇઝી માટે આ સૌથી મોટી બોલી લગાવી છે, જેને મંજૂર કરી લેવામાં આવી છે. રાજસ્થાને લખનઉ સુપર જાયન્ટ્સનો રેકોર્ડ તોડ્યો. લખનઉને સંજીવ ગોયનકાના RPSG ગ્રુપે 2021માં 7,090 કરોડની મોટી બોલી લગાવીને ખરીદી હતી.વાંચો સંપૂર્ણ સમાચાર 6. સરકારના આશ્વાસન બાદ પેટ્રોલ પંપ પર સ્થિતિ સામાન્ય:ગઇકાલે અફવા આફત બનતા લોકો જે હાથમાં આવ્યું એ લઇ દોડ્યા; કુકર, બરણી, કેન, ડોલ, કેરબા, ડોલચામાં પેટ્રોલ ભેગું કર્યું ગઇકાલે(23 માર્ચ) રાજ્યમાં એક અફવા ઉડી કે પેટ્રોલ પંપ બંધ થઈ જશે, બસ પછી શું?. ગાંડરિયા પ્રવાહની જેમ પેટ્રોલ પંપ પર વાહન ચાલકોના થપ્પેથપ્પા થવા લાગ્યા. કુકર,બરણી, દૂધનું કેન, ડોલ, બેરલ, કેરબા, ડોલચુ લોકોના હાથમાં જે આવ્યું એ લઈ દોડ્યા અને સમગ્ર ગુજરાતમાં પેટ્રોલ પંપ પર પેનિકની સ્થિતિ સર્જાઈ. સ્થિતિ તો એવી સર્જાઈ કે નોટબંધી અને કોરોનાની યાદો તાજી થઈ ગઈ. અફરાતફરી સર્જાતા રાજ્ય સરકાર પણ એક્ટિવ થઈ અને લોકોને આશ્વાસન આપ્યું કે પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો છે પણ સરકારના આશ્વાસન બાદ પણ લોકોએ ગાંડપણ ચાલું રાખ્યું અને પેટ્રોલ પંપ પર લાંબી લાઇનો લગાવી.વાંચો સંપૂર્ણ સમાચાર 7. પ્રદીપ ગુરુ નકલી નોટ છાપવાના મશીન માટે ચીન ગયાનો ઘટસ્ફોટ:નફામાં 50% ભાગ લેતો, એક લાખની અસલી નોટો સામે 3 લાખની નકલી આપતો; અમદાવાદમાં કૌભાંડીની પૂછપરછમાં ખુલાસો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમરાઈવાડીમાંથી નકલી નોટો સાથે યોગ ગુરુ પ્રદીપ સહિત 7 લોકોને ઝડપી પાડ્યા હતાં. આરોપીઓની ધરપકડ બાદ રિમાન્ડ મેળવીને તપાસ કરવામાં આવી રહી છે. જેમાં આરોપીન પૂછપરછમાં ખુલાસો થયો છે કે, પ્રદીપ ગુરુ ગત મહિને નકલી નોટ છાપવાનું મશીન લેવા માટે ચીન ગયો હતો. પ્રદીપે નકલી નોટો છાપીને થનાર નફામાં 50 ટકા ભાગ રાખ્યો હતો. એક લાખની અસલી નોટો સામે 3 લાખની નકલી આપતાં હતાં. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : દેશમાં પહેલી વખત ઈચ્છામૃત્યુ મેળવનાર હરીશ રાણાએ લીધા અંતિમ શ્વાસ:13 વર્ષથી કોમામાં હતા, સુપ્રીમ કોર્ટે 13 દિવસ પહેલા આપી હતી મંજૂરી (વાંચો સંપૂર્ણ સમાચાર) 2.ઈન્ટરનેશનલ : પરમાણુ હથિયારો રાખવાનો નિર્ણય સાચો હતો:કિમ જોંગે કહ્યું- ઈરાન પરના હુમલાએ અમને સાચા સાબિત કર્યા, તાકાતથી જ સુરક્ષા મળે છે (વાંચો સંપૂર્ણ સમાચાર) 3.નેશનલ : જેસલમેરમાં AI ટેકનિકથી પક્ષીનાં બચ્ચાંનો જન્મ:'આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન'થી આ વર્ષે 4 નવા બચ્ચાં મળ્યાં; દુર્લભ એવા ગોડાવણ પક્ષીની સંખ્યા 72 થઈ (વાંચો સંપૂર્ણ સમાચાર) 4.ઈન્ટરનેશનલ : કોલંબિયામાં વાયુસેનાનું વિમાન ક્રેશ, 66નાં મોત: 114 કોલંબિયન સૈનિકો અને 11 ક્રૂ મેમ્બર સવાર હતા; ટેકઓફ પછી 1.5KM દૂર પડ્યું (વાંચો સંપૂર્ણ સમાચાર) 5.બિઝનેસ : રાંધણ ગેસનો વિકલ્પ બનશે ઇથેનોલ:સરકાર ખાસ ઇથેનોલ-ચૂલા બનાવી રહી છે; LPGની અછત દૂર કરવા માટે નિર્ણય (વાંચો સંપૂર્ણ સમાચાર) 6.સ્પોર્ટ્સ : ચિન્નાસ્વામી સ્ટેડિયમની 11 બેઠકો હંમેશા ખાલી રાખવામાં આવશે:સ્મારક પટ્ટિકા પણ લાગશે; RCB-કર્ણાટક ક્રિકેટ બોર્ડે ભાગદોડના મૃતકોને આપી અનોખી શ્રદ્ધાંજલિ (વાંચો સંપૂર્ણ સમાચાર) 7. બિઝનેસ : ઝોમેટો બાદ આજથી સ્વિગી પરથી જમવાનું મંગાવવું મોંઘું થયું:7 મહિનામાં બીજી વાર પ્લેટફોર્મ ફી વધારી, 17% વધારો થતાં કરોડો યુઝર્સના ખિસ્સા પર અસર પડશે (વાંચો સંપૂર્ણ સમાચાર) ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ શોખના કારણે અંધ થયેલી છોકરી અમેરિકાની જ્વેલ શૂપિંગ બાળપણથી જ અંધ બનવા માંગતી હતી. તેમને બોડી ઇન્ટિગ્રીટી આઇડેન્ટિટી ડિસઓર્ડર (BIID) નામની એક માનસિક બીમારી હતી. આ જ કારણોસર તેણે 21 વર્ષની ઉંમરે પોતાની આંખોમાં કેમિકલ નાખી દીધું અને હંમેશા માટે અંધ થઈ ગઈ. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor's View: ડોલરના ખાત્માનું ઈરાની ઓપરેશન:ચીને યુદ્ધમાં મદદ કરી? અંદાજા ખોટા પડતાં ટ્રમ્પ ભોંઠા પડ્યા, હિલેરીની શેખી અને બંધ બારણે સૌથી મોટી ડીલ! 2. ભાસ્કર સિરીઝ : નરેન્દ્ર મોદીએ છેતરપિંડીથી ઉપવાસ તોડાવી નાખ્યા?: આસારામને બચાવવા સરકારે પંચનો રિપોર્ટ દબાવી રાખ્યો? જુઓ ‘આસારામ’ સિરીઝનો નવો એપિસોડ 3. આજનું એક્સપ્લેનર:શું પાકિસ્તાન રોકશે ઈરાન યુદ્ધ; ખામેનીની હત્યા પર શોક, સાઉદી અરબ પર હુમલાની નિંદા, આખરે કેવી રીતે બન્યું મોટું મધ્યસ્થી? 4. જેલમાં આઝમ, પૂછ્યા વગર રામપુરમાં લીડરશિપ બદલાઈ:શું 2027ની ચૂંટણી પહેલા સપા ભૂલી ગઈ, લોકો બોલ્યા- ખરાબ સમયમાં દગો આપ્યો 5. એક ગોદડી, બે લાશ અને લોહીના નિશાન:પ્રેમી-પ્રેમિકાની બ્લાઇન્ડ મર્ડર મિસ્ટ્રી, ખિસ્સામાંથી મળેલી એક ચિઠ્ઠીથી કેસમાં વળાંક આવ્યો 6. હમ લોગ: 100 કિલોનો પથ્થર ઉઠાવ્યો, છોકરી બોલી- તારી સાથે લગ્ન કરીશ:સ્ત્રીઓ 5 પતિ પણ રાખી શકે છે, 1800 અનોખા ‘ટોડા’ લોકોની કહાની 7. એક મેસેજ આવ્યો ને રાતે રણમાં ઓપરેશન શરૂ થયું:7 કલાકનો જીવ સટોસટનો જંગ, બચાવવા ગયેલી પોલીસની ગાડી પણ ફસાઇ કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ રાશિફળ બુધવારનું રાશિફળ:મેષ-વૃષભ રાશિના જાતકોને રોકાણથી મળશે મોટો લાભ, કુંભ-મીન રાશિના લોકોના અટકેલા નાણાં પરત મળશે વાંચો સંપૂર્ણ સમાચાર…
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:જિલ્લાના 20 પંપ પર ડિઝલનો જથ્થો ખૂટી ગયો
અમરેલી જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પુરતો જથ્થો આવી રહ્યો હોવા છતાં લોકોએ અફવામાં આવી પેટ્રોલ ડીઝલ પુરાવવા પડાપડી કરી મુકતા આજે જુદા જુદા 20 પંપ પર ડીઝલનો જથ્થો ખલાસ થયો હતો. 15 જેટલા પંપમાં પેટ્રોલ પણ ખુટ્યું હતું. જેમ જેમ ગાડીઓ આવતી ગઈ તેમ આ પંપોમાં ફરી વિતરણ શરૂ થયું હતું. આજે સાંજે જિલ્લામાં અનેક પંપો પર લાઈન લાગી હતી. અમરેલી પંથકમાં ડીઝલનું વેચાણ ચાર ગણુ વધ્યું હતું. અમરેલી શહેર તથા આસપાસના 12 કિ.મીના વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપો પર દૈનિક 25 હજાર ડીઝલનું વેચાણ થતું હતું. પરંતુ અફવામાં આવી લોકોએ ડીઝલ માટે પડાપડી કરતા આ વેચાણ ચાર ગણું વધી એક લાખ લીટર કરતા પણ વધુ થયું હતું. અમરેલી શહેરમાં પણ પેટ્રોલ ડીઝલ પુરાવવા માટે લોકોમાં પેનીકની સ્થિતિ જોવા મળી હતી. ગઈરાત્રે થોડી લાઈનો થયા બાદ આજે ક્યારેક વાહનોની કતારો થતી હતી. જો કે સાંજના સમયે શહેરના મોટાભાગના પેટ્રોલ પંપ પર મોટી લાઈનો લાગી હતી. જેના કારણે કેટલાક પંપો પર ડીઝલનો જથ્થો ખુટી પડ્યો હતો. દિવસ દરમિયાન સમયયાંતરે જુદા જુદા પંપ પર પેટ્રોલ ડીઝલના ટેન્કરો આવ્યા હતા. જેના કારણે વિતરણ ફરી શરૂ કરાતું હતું. જે પંપ પર વિતરણ ચાલુ થાય ત્યા ફરી લાઈનો લાગવા માંડતી હતી. આવી જ સ્થિતિ અમરેલી જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ જોવા મળી હતી. જો કે રાજુલા પંથકમાં પ્રમાણમાં ઓછી લાઈનો જોવા મળી હતી. પણ બાબરા, બગસરા, વિગેરે શહેરોમાં દિવસભર પેટ્રોલ પંપ પર કતાર લાગતી હતી. પંપ માલિકોએ સ્વેચ્છાએ પણ પેનીકની સ્થિતિ નિવારવા કેટલાક નિયંત્રણો લાગ્યા હતા. ક્યાંક વાહન ચાલકોને માત્ર 200 રૂપિયાનું પેટ્રોલ અપાતું હતું. તો ક્યાંક વાહન ચાલકોને માત્ર 5000 રૂપિયાનું ડીઝલ અપાતું હતું. અમરેલી જિલ્લામાં એલપીજી સીલીન્ડરનું પેનીક બુકીંગ હળવું થયું છે. ચાલુ મહિનામાં 25 દિવસમાં 1.10 લાખ સીલીન્ડરનું વિતરણ કરાયું હતું. જિલ્લાની 26 ગેસ એજન્સીમાં હજુ 7000 સીલીન્ડરનો જથ્થો ઉપલબ્ધ છે. બાબરામાં ખાનગી કંપનીના પંપ પર બપોર સુધી પેટ્રોલ અને સાંજ સુધી ડિઝલનું વેચાણબાબરામાં રિલાયન્સ કંપનીના પેટ્રોલ પંપ પર સવારથી બપોર સુધી માત્ર પેટ્રોલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે બપોરથી સાંજ સુધી માત્ર ડીઝલનું વેચાણ થાય છે. અન્ય પંપો પર પણ કતાર છે. પુરવઠા અધિકારીએ કહ્યું, સંગ્રહ કરશો તો પગલાં લેવાશેજિલ્લામાં પેટ્રોલ ડીઝલનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે અને ઉપરથી પણ પુરતો જથ્થો આવે છે. જેથી અફવામાં ભરમાવું નહી. જો કોઈ ઈંધણની સંગ્રહ ખોરી કરશે તો કાનુની પગલાં લેવાશે. > પ્રતિક કુંભાણી, અમરેલી જિલ્લા પુરવઠા અધિકારી 25 દિ'માં 1.10 લાખ સિલિન્ડરનું વિતરણબગસરામાં બાઈક ચાલકોને રૂા.200નું જ પેટ્રોલ અપાય છે, જો કે, સાંજે ખૂટી પડ્યું બગસરા શહેરમાં પાંચ પેટ્રોલ પંપ છે. અહીં આખો દિવસ કોઈ પણ બાઈક ચાલકને માત્ર 200 રૂપિયાનું પેટ્રોલ જ આપવામાં આવતું હતું. જો કે સાંજ પડતા સુધીમાં તમામ પંપ પર પેટ્રોલ ખુટ્યું હતું.
ભાસ્કર વિશેષ:ઝાંઝરડા ગામથી સિદ્ધનાથ મંદિર સુધીની અઢી કિમીની શોભાયાત્રામાં 10 સ્વાગત પોઈન્ટ હશે
આગામી તા.26ને રામનવમીના તહેવારની શહેરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવવાની છે. જેને લઇને સનાતન હિંદુ એકતા સમિતિ દ્વારા રામનવમીની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢનો ઝાંઝરડા રોડ જાણે અયોધ્યા નગરીમાં પરિવર્તિત થયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઠેર-ઠેર ભગવા રંગની ધજા-પતાકાઓ લગાડવામાં આવ્યા છે તેમજ સુશોભિત ગેઈટ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. સનાતન હિંદુ એકતા સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રામનવમીને ગુરૂવારે સાંજના ઝાંઝરડા રોડ પર આવેલા રામ મંદિરથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે જે સિદ્ધનાથ મંદિરે સંપન્ન થશે. આ શોભાયાત્રામાં વિવિધ કલાત્મક ફ્લોટ્સ, ગજરાજ અને શણગારેલા રથો જોડાશે. શોભાયાત્રાના રૂટમાં પ્રજાની સુરક્ષા અને વ્યવસ્થાને લઇને આયોજકો દ્વારા તકેદારીના પગલાં લેવાયા છે. સમગ્ર વિસ્તારને રોશનીથી શણગારવામાં આવ્યો છે. તા.25ને બુધવારે રાત્રે 9:30 કલાકે ઝાંઝરડા રોડ પર આવેલા બાબા કોમ્પલેક્ષ ખાતે સંતવાણી અને ભજનાવલી કાર્યક્રમ યોજાશે.જેમાં લોકપ્રિય કલાકારો દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવશે. આ સાથે પરંપરાગત મણિયારો રાસ અને રામસેના પાત્ર ગૃપ દ્વારા ભગવાન રામના જીવન પ્રસંગો રજૂ કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો ભજવવામાં આવશે.
ઇરાન-ઇઝરાયલના યુદ્ધ વચ્ચે પેટ્રોલ-ડિઝલનો જથ્થાની અછત ઉભી થશે એવી અફવા સાંભળીને સોમવારે સમી સાંજ બાદ શહેરના તમામ પેટ્રોલ પંપમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. મોડી રાત સુધી આ ભીડ રહેતા અમુક પંપમાં તો પેટ્રોલનો જથ્થો પણ પૂર્ણ થઇ ગયો હતો. આવા સ્થિતીમાં પેટ્રોલ પંપ ધારકો પોતાના નવા નિયમો બનાવ્યા હોય તેવુ સામે આવ્યુ છે. મજેવડી ગેટ નજીકના પંપમાં પેટ્રોલ પુરાવવુ હોય તો રોકડા જ પૈસા આપવાનો નિયમ કર્યો છે. ઓનલાઇન પેમેન્ટ સ્વીકારવાનુ બંધ કર્યુ હતુ. ઉપરાંત કોઇને પણ 150, 180, 220, 260 એવી રીતે પેટ્રોલ પુરવુ હોય તો તે બંધ કરીને ફરજીયાત 100,200, 300, 500 એવી રીતે જ પેટ્રોલ પુરવાનો નિયમ કર્યો છે. જેને લઇને સવારથી જ ઘણા લોકોને ભારે હેરાનગતિ થઇ હતી. ઓનલાઇન પેમેન્ટ નહીં સ્વીકારવામાં આવે તેવા બોર્ડ પણ ન મારતા સવારથી લાઇનમાં ઉભેલા ઘણા લોકોને હાલાકી પડી હતી. જૂનાગઢ ભાસ્કર : હાલ પેટ્રોલનો જથ્થો પૂરો થઇ જશે એવી અફવા વચ્ચે લોકોની પેટ્રોલ પંપોમાં લાંબી કતારો જોવા મળી રહી છે. જેને લઇને જૂનાગઢ શહેરના અમુક પેટ્રોલપંપોના માલિકોએ આ તંગી ન સર્જાય અને તમામ લોકોને સરળતાથી પેટ્રોલ મળી રહે તે માટે એક લીમીટ નક્કી કરી છે. જેમાં કોઇક પેટ્રોલ પંપમાં વધુમાં વધુ એક માણસ રૂપિયા 500 નો તો કોઇકમાં વધુમાં વધુ એક માણસ બાઇકમાં રૂપિયા 200નો જ પેટ્રોલ લઇ શકશે એવા નિયમો કર્યા છે. પેટ્રોલનો જથ્થો પૂર્ણ થઇ જવાની અફવા વચ્ચે સોમવારે સમીસાંજથી પંપે વાહનોની ભીડ જામી હતી. જો ઓનલાઇન પેમેન્ટ સ્વીકારવામાં આવે તો તેમા સર્વર ડાઉન હોય કે કોઇ અન્ય પ્રોબ્લમ વચ્ચે થોડો સમય વધારે લાગે જેને કારણે ભીડમાં હોબાળો થઇ જાય અને ફીલરને પણ અગવડતા પડે ઉપરાંત જે 100,200, 500 નો નિયમ એટલે કર્યો કે એક જ ચાપથી વધુમાં વધુ લોકોને ઓછા સમયમાં પેટ્રોલ આપી શકાય અને ફીલરને સરળતા રહે. ઉપરાંત સતત કલાકો સુધી ફિલરોએ પણ એકધારૂ પેટ્રોલ આપવાનુ શરૂ રાખ્યુ હતુ. ખાસ તો પરિસ્થિતીને પહોંચી વળવા આ નિયમ કર્યો હતો.> ગોવિંદ ચાવડા, પેટ્રોલપંપ માલિક
તંત્રમાં સંકલનનો અભાવ:જિલ્લામાં વસ્તીગણતરીની કામગીરી બાબતે બે લેટર થયા, બંનેમાં અલગ-અલગ વિષય
જૂનાગઢ જિલ્લામાં બે તબક્કામાં વસ્તીગ ણતરીની કામગીરી થનાર છે. જેમાં પ્રથમ તબક્કાની કામગીરી તારીખ 20 એપ્રિલથી 19 મે સુધી થવાની છે. આ કામગીરી કઇ રીતે કરવી, આ વખતે શું-શું નવુ છે, એપ્લિકેશન વિગત કઇ રીતે લખવી સહિતની બાબતે ફિલ્ડ ટેનર્સ, ચાર્જ ઓફીસર સહિતનાઓને થોડા દિવસ પૂર્વે તાલીમ પણ આપવામાં આવી છે. પરંતુ વસ્તીગ ણતરીના કામગીરીમાં ફાળવણી બાબતે મહાનગર પાલિકા અને ચુંટણી શાખામાંથી તાજેતરમાં જ લેટરો થયા છે. જે બંને લેટરમાં વિસંગતતા ઉભી થઇ છે. જેમાં મનપા સીટી સેન્સસ ઓ ફીસરે લેટરમાં વસતી ગણતરી બાબતે સુપરવાઇઝર અને ગણતરી કારોની નિમણૂક કરી છે. આમાં બીએલઓની પણ નિમણુક કરવામાં આવી છે. આ લેટરના ચાર દિવસ પછી મતદાર નોંધણી અધિકારીએ લેટરમાં જણાવ્યુ કે, બીએલઓ મતદારયાદી અંગેની કામગીરીમાં રોકાયેલા હોવાથી વસ્તીગ ણતરીની કામમાંથી બીએલઓને મુક્તિ આપવાની રહેશે. આ લેટર થયા પછી પણ સીટી સેન્સસ ઓફીસરે કોઇપણ બીએલઓને વસ્તીગ ણતરીની કામગીરીમાં મુક્તિ ન આપતા બીએલઓમાં રોષ ભભૂક્યો છે. આમ, વસ્તીગ ણતરીની જિલ્લામાં એક જ કામગીરી બાબતે બે અલગ-અલગ વિષય પર લેટર થતા તંત્રમાં પણ સંકલનનો અભાવ છે કે શું ? સહિતના પ્રશ્નો ઉઠી રહ્યા છે.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ઊનાળામાં 1500 કિલો લાકડા માંડ વપરાતા હાલ દૈનિક 10,000 કિલોએ પહોંચી ગયા
અત્યારે વિશ્વ સ્તરે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ઈંધણના પુરવઠા પર માઠી અસર પડી છે. ગેસના બાટલાની ભારે અછત સર્જાતા ગૃહિણીઓ અને ધંધાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે. આ પરિસ્થિતિમાં જૂનાગઢવાસીઓએ જૂના જમાનાના બળતણનો સહારો લીધો છે. શહેરમાં અત્યારે લાકડાનો વેપાર રોકેટ ગતિએ વધી રહ્યો છે. દરરોજ અંદાજે 10 ટન (10,000 કિલો) લાકડાનું વેચાણ થઈ રહ્યું છે. સામાન્ય રીતે ઉનાળામાં લાકડાની માંગ નહિવત હોય છે, પરંતુ આ વર્ષે ઉલટી ગંગા વહી રહી છે. જીઆઈડીસીના કારખાનાઓ અને મોટી રેસ્ટોરન્ટના માલિકો લાકડાનો મોટો સ્ટોક કરી રહ્યા છે. જેવો માલ સો-મિલ પર આવે છે કે તરત જ ગ્રાહકો તેને ઉપાડી જાય છે. લોકોમાં ફાળ છે કે જો યુદ્ધ લાંબુ ચાલશે તો ગેસ મળવો મુશ્કેલ બનશે, તેથી અત્યારથી જ લાકડાનો સંગ્રહ શરૂ કરી દેવામાં આવ્યો છે. ગેસની અછતનો ફાયદો હવે પશુપાલકો અને છાણા વેચતા પરિવારોને પણ મળી રહ્યો છે. ગાંધીગ્રામ અને ગિરનાર દરવાજા વિસ્તારમાં છાણાનો વેપાર કરતા પરિવારો જણાવે છે કે અત્યારે એક છાણું 3 રૂપિયા લેખે વેચાઈ રહ્યું છે. ગેસના બાટલા ન મળતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો હવે ફરી છૂલા સળગાવવા મજબૂર બન્યા છે, પરિણામે છાણાની માંગમાં પણ તોતિંગ વધારો થયો છે. મજેવડી ગેટ પાસે આવેલી આશાપુરા અને શિવ શક્તિ તેમજ સુખનાથ ચોકની ચામુંડા અને ઉષા સો-મિલ અત્યારે વ્યસ્તતાના શિખરે છે. એક સમયે જૂનાગઢમાં 16 સો-મિલ ધમધમતી હતી, જે ગેસના વપરાશને કારણે ઘટીને માત્ર 4 રહી ગઈ હતી. બાટલાની અછતથી વર્ષો પછી ગ્રાહકો લાકડા લેવા માટે લાઈનો લગાવી રહ્યા છેએમ સો મિલના માલિક કિર્તીભાઈ પટેલે જણાવ્યુ હતું.
સિટી એન્કર:મોરિશિયસમાં મહારાષ્ટ્ર ભવનની વિસ્તારિત વાસ્તુની પાયાભરણી
મહારાષ્ટ્ર અને મોરિશિયસ વચ્ચે મૈત્રીના સંબંધ પેઢી દર પેઢી હોઈ સાત સમુદ્રપાર વસવાટ છતાં અહીંના મહારાષ્ટ્રના રહેવાસીઓએ પોતાની સાંસ્કૃતિક નાળ અત્યંત અભિમાનથી જતન કરી છે એમ ભાજપ મહારાષ્ટ્ર પ્રદેશાધ્યક્ષ રવીંદ્ર ચવ્હાણે જણાવ્યું હતું. મોરિશિયસના મોકા ખાતે મહારાષ્ટ્ર ભવનની વિસ્તારિત વાસ્તુની પાયાભરણી થઈ. મુખ્ય મંત્રી દેવેંદ્ર ફડણવીસની આગેવાનીમાં આ વાસ્તુના વિસ્તાર માટે રૂ. 8 કરોડનું ભંડોળ અપાયું છે.ચવ્હાણની આગેવાનીમાં બે દિવસીય મુલાકાતમાં ઉચ્ચ સ્તરીય મોવડીઓ સાથે મુલાકાત લઈને ભારત -મોરિશિયસ વચ્ચે સંબંધ વધુ દ્રઢ બનાવાયો છે. આ મુલાકાતમાં મોરિશિયસના રાષ્ટ્રાધ્યક્ષ ધરમબીર ગોખુલના સરકારી નિવાસસ્થાનની પણ ચવ્હાણે સદિચ્છા મુલાકાત લીધી હતી. આ સમયે બે દેશ વચ્ચે મૈત્રી, બ્લુ ઈકોનોમી, પર્યટન અને એઆઈ તથા સાઈબર સુરક્ષા જેવા મહત્ત્વના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચાવિચારણા થઈ હતી. મોરિશિયલ ભારતનો નાનો ભાઈ છે, એમ કહીને રાષ્ટ્રાધ્યક્ષે વડા પ્રધાન નરેંદ્ર મોદી અને ફડણવીસનાં કામોની સરાહના કરી હતી. ઉપરાંત ભારતના સહકાર માટે કૃતજ્ઞતા પણ વ્યક્ત કરી હતી.આ સાથે મોરિશિયસના વિદેશ મંત્રી ધનંજય રામફુલ, આઈટી અને ઈનોવેશન મંત્રી ડો. અવિનાશ રામતોહુલ અને સાંસ્કૃતિક મંત્રી મહેંદ્ર ગોંદિયા સાથે મહત્ત્વપૂર્ણ બેઠકો પાર પડી હતી. ડો. રામતોહુલે ફર્ગ્યુસન કોલેજમાં તેમના શિક્ષણની યાદ અપાવીને એઆઈ પર તેમણે લખેલું પુસ્તક ભેટમાં આપ્યું. મહારાષ્ટ્રની રેશનિંગ વ્યવસ્થાની સ્તુતિમહારાષ્ટ્રની રેશનિંગ વ્યવસ્થામાં જીપીએસ ટેકનોલોજી દ્વારા પારદર્શકતા લાવવાના નિર્ણયની તેમણે ખાસ સ્તુતિ કરી હતી. આ જ રીતે મોરિશિયસને આફ્રિકા માટે એઆઈ ક્ષેત્રનું પ્રવેશદ્વાર બનાવવા ભારતનો સહયોગ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું. આ સાથે સાંસ્કૃતિક આદાનપ્રદાન, લાઈબ્રેરી, જાગરી નૃત્યનું યુનેસ્કો નામાંકન જેવા મુદ્દાઓ પર પણ હકારાત્મક ચર્ચા થઈ હતી.
સ્માર્ટ બસ સેવાનો ભવ્ય પ્રારંભ:મહારાષ્ટ્રમાં ટેક્નોલોજીથી સજ્જ 3000 એસટી બસો શરૂ કરાશે
મહારાષ્ટ્રના જાહેર પરિવહન ક્ષેત્રમાં મંગળવારે એક નવા અધ્યાયની શરૂઆત થઈ, જ્યારે મુંબઈના વિધાન ભવન ખાતે રાજમાતા જિજાઉ સ્માર્ટ બસ સેવાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો. આ સેવા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા શરૂ કરવામાં આવી, જે રાજ્યના પરિવહન તંત્રમાં આધુનિકતા અને પરંપરાનો અનોખો સમન્વય દર્શાવે છે. ઉદ્ઘાટન સમારંભ ઉત્સાહી અને સાંસ્કૃતિક માહોલમાં યોજાયો હતો, જેમાં ઢોલ-તાશાના નાદ અને પરંપરાગત કાર્યક્રમો દ્વારા મહારાષ્ટ્રની સમૃદ્ધ વારસાનું પ્રદર્શન કરાયું. આ પ્રસંગે ઉપમુખ્યદમંત્રીઓ એકનાથ શિંદે અને સુનેત્રા પવાર સહિત પરિવહન, પર્યાવરણ અને શિક્ષણ મંત્રીઓ, વિધાનસભ્યો, વરિષ્ઠ અધિકારીઓ અને ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.આ બસ સેવાને રાજમાતા જીજાબાઈના નામ પરથી નામ આપવામાં આવ્યું છે, જે તેમના નેતૃત્વ, સંસ્કાર અને પ્રેરણાદાયી વ્યક્તિત્વને શ્રદ્ધાંજલિ અર્પે છે. આ પહેલનો હેતુ માત્ર આધુનિક પરિવહન સુવિધા પૂરી પાડવાનો જ નહીં, પરંતુ મુસાફરોમાં ઈતિહાસ અને સાંસ્કૃતિક ગૌરવની ભાવના પણ જગાવવાનો છે. સુરક્ષા, આરામ અને વિશ્વસનીયતા: રાજ્ય સરકારે તબક્કાવાર રીતે આશરે 3,000 આધુનિક અને ટેક્નોલોજીથી સજ્જ બસો શરૂ કરવાની યોજના બનાવી છે. આ બસો સુરક્ષા, આરામ અને વિશ્વસનીયતાના ઉચ્ચ ધોરણો સાથે તૈયાર કરવામાં આવી છે. રાજમાતા જિજાઉ સેવા રાજ્યની લોકપ્રિય બસ સેવાઓ જેમ કે શિવનેરી, શિવશાહી, શિવાઈ, હિરકણી અને યશવંતી સાથે જોડાશે. ઉદ્ઘાટન બાદ મુખ્યમંત્રી ફડણવીસ અને અન્ય મહાનુભાવોએ નવી બસમાં પ્રતિકાત્મક સફર કરી હતી.
સરકાર એકશન મોડમાં:નાગપુરની આયુર્વેદિક કોલેજમાં રેગિંગ મામલે 19 વિદ્યાર્થીને સસ્પેન્ડ કરાયા
રાજ્યમાં તબીબી શિક્ષણ ક્ષેત્રને કલંકિત કરતી રેગિંગની ઘટનાઓને રોકવા માટે રાજ્ય સરકારે હવે આક્રમક વલણ અપનાવ્યું છે. નાગપુરની સરકારી આયુર્વેદિક કોલેજમાં રેગિંગનો મામલો પ્રકાશમાં આવ્યા બાદ, કોલેજની રેગિંગ વિરોધી સમિતિના તપાસ અહેવાલના આધારે 19 વિદ્યાર્થીઓને ત્રણ મહિના માટે હોસ્ટેલમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. તબીબી શિક્ષણ મંત્રી હસન મુશરીફે વિધાનસભામાં તારાંકિત પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી.ધારાસભ્ય સુધીર મુનગંટીવાર, મોહન માટે અને ડૉ. નીતિન રાઉત દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતાં મંત્રીએ ચોંકાવનારા આંકડા રજૂ કર્યા. સોસાયટી અગેઇન્સ્ટ વાયોલન્સ ઇન એજ્યુકેશન અને યુજીસીની એન્ટી-રેગિંગ હેલ્પલાઇનની માહિતી અનુસાર, મહારાષ્ટ્ર યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સીસ (નાશિક) 2022 થી 2024 દરમિયાન રેગિંગની ફરિયાદોમાં દેશમાં ત્રીજા ક્રમે છે. વર્ષ 2025માં, આ યુનિવર્સિટી અંગે નેશનલ એન્ટી-રેગિંગ પોર્ટલ પર 27 ફરિયાદો મળી હતી, જેમાંથી 3 ફરિયાદો ખૂબ જ ગંભીર પ્રકારની હતી. નેશનલ મેડિકલ કમિશન દ્વારા 11 ઓગસ્ટ, 2025 ના રોજ રેગિંગ અટકાવવા માટે જાહેર કરાયેલા નવા નિયમો રાજ્યમાં તાત્કાલિક લાગુ કરવામાં આવ્યા છે.મેડિકલ એજ્યુકેશન ડિરેક્ટોરેટે 12 ઓગસ્ટ, 2025 ના રોજ એક પરિપત્ર બહાર પાડીને તમામ કોલેજોને તેમની સંસ્થાકીય યંત્રણાને વધુ અસરકારક બનાવવાનો આદેશ આપ્યો છે.
રહીશો પરેશાન:ગિયોડ ગામમાં પાયાની સુવિધાનો અભાવ: ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચીમકી
ગાંધીનગર જિલ્લાના ગિયોડ ગામના ગ્રામજનો દ્વારા ગામમાં વર્ષોથી ચાલી રહેલી મૂળભૂત સુવિધાઓની ગંભીર સમસ્યાઓ અંગે તંત્રને તાત્કાલિક પગલાં લેવા જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆત છતાં આજદિન સુધી કોઈ સ્થાયી ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે દૈનિક જીવન પર ગંભીર અસર પડી રહી છે. ગ્રામજનો મુજબ, ગામમાં મુખ્ય ગટરલાઈન ન હોવાને કારણે ગંદુ પાણી રસ્તાઓ પર વહે છે, જેનાથી દુર્ગંધ ફેલાય છે અને મચ્છરોનું પ્રમાણ વધી રહ્યું છે. આ પરિસ્થિતિને કારણે આરોગ્ય સંબંધિત જોખમ ઊભું થયું છે, ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં બીમારીઓ ફેલાવાની ભીતિ વધી છે. ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા પણ ગામમાં ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ન હોવાને કારણે રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે, જેનાથી આવન-જાવન મુશ્કેલ બને છે અને ઘણી વખત ઘરોમાં પાણી ઘૂસી જાય છે. આથી ગ્રામજનોને આર્થિક નુકસાન સહન કરવું પડે છે. આ ઉપરાંત, ગિયોડ (ઇન્દિરાનગર) થી વાસણા ચૌધરી ગામ અને ગિયોડથી હાલીશા ગામ સુધીના રસ્તાઓ જર્જરિત હાલતમાં છે. આ રસ્તાઓ પર રોજિંદા અવરજવર કરનારા લોકો, વિદ્યાર્થીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.ગ્રાજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપવામાં આવી છે.
રવિ બરાસરા બે દેશો વચ્ચેના ભીષણ યુદ્ધે વિશ્વની ટોચે પહોંચેલા મોરબીના સીરામીક ઉદ્યોગને ફરી કોરોના કાળ જેવી ભયાનક પરિસ્થિતિમાં ધકેલી દીધો હોય તેમ યુદ્ધને કારણે ગેસની કટોકટીથી સિરામીકના 90 ટકા એટલે 600 કારખાના બંધ થવાથી માર્કેટનું અર્થતંત્ર ખોરવાઇ ગયું છે. આ શટડાઉનથી સિરામીક ટ્રેડિંગનો વ્યવસાય કરતા 2 હજાર વેપારીઓ અને સામાન્ય ધંધાર્થીઓની હાલત કફોડી થઈ ગઈ છે. જેમાં રંગપર-બેલા, પીપળીથી માટેલ અને મોરબીથી ઉંચી માંડલ, જુના ઘૂંટુ રોડ, લખધીર પુર રોડ એમ આશરે 40 કિમીમાં છૂટા છવાયેલા ફેલાયેલા સિરામીક ઝોનમાં મજૂરો માટે ચા-પાણી, નાના-માવા, નાસ્તાની અસંખ્ય કેન્ટીન આવેલી છે. યુદ્ધને કારણે મોટાભાગની કેન્ટીન બંધ થઈ જતા આ કેન્ટીન ચલાવતા સામાન્ય ધંધાર્થીઓનું ઘરનું બજેટ અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. સિરામીક ટાઇલ્સનો વેપાર કરતા ટ્રેડર્સ નિશાંતભાઈ પ્રજાપતિએ કહ્યું હતું કે, મોરબીમાં ટાઇલ્સના વેપાર સાથે 2 હજાર ટ્રેડર્સ સંકળાયેલા છે. વેપારીઓનું સીરામીક કારખાના સાથે સંકલન હોય એટલે ત્યાંથી ગાડી ભરીને આવેલા ઓર્ડર મુજબ ડોમેસ્ટિક, એક્સપોર્ટ કરીને કમિશનથી ઘરનું ગુજરાન ચલાવે છે. પણ હવે સિરામીકનું પ્રોડકશન જ બંધ થઈ ગયું હોય તો ટાઇલ્સ ક્યાંથી મળે ? જેટલી ટ્રેડિંગની દુકાનો, સિરામીક ઝોન છે. તે અત્યારે એકદમ સુમસામ છે. અમુકને જ જૂનો થોડોક સ્ટોક પડ્યો હોય તો એ કામચલાઉ રૂપે ધંધો ચલાવે છે. હાલ તો બધાને કારખાના ચાલુ થાય પછી જ ઓર્ડર પુરા કરવાનું કહી દેવાયું છે. માલ દેવા જાય તો ડીઝલનો ખર્ચ માથે પડે મોરબીમાં જંકફૂડ અને નમકીનના સામાન્ય ધંધાર્થી લાલજીભાઈ અજાણાએ કહ્યું હતું કે, તેમના ધંધાનો મુખ્ય આધાર સિરામીક ઝોન જ છે. 40 કિમીમાં ફેલાયેલા ઝોનમાં રોજ સવારથી સાંજ ગાડી લઈને ફરીને વેફર્સ, નમકીન, નાસ્તાની ચીજવસ્તુઓ, શુદ્ધ પાણીની બોટલો, ફરસાણ, ઠંડાપીણાં, સહિતની વસ્તુઓ કેન્ટીનોમાં પહોંચાડે છે, એકમો બંધ થતાં આખો દિવસ ગાડી લઈને હડિયાપટ્ટી કરવા છતાં 20 ટકા ધંધો થતો નથી. મીઠાઈ અને ફરસાણનો 70 ટકા ધંધો ઘટ્યોમોરબીમાં મીઠાઈ ફરસાણનો ધંધો કરતા ધંધાર્થી વિજય વડાવીયા કહે છે કે, તેઓ જાતે ગુંદીના લડવા, ગાંઠિયા, ફાફડા સહિત મીઠાઈ ફરસાણ બનાવીને એકલા હાથે માલ ગાડીમાં ભરીને સીરામીક ઝોન ગણાતા રંગપરથી માટેલ સુધી કારખાનામાં આવેલી ચા, પાણી, નાસ્તાની કેન્ટીનો, હાઇવેની કેન્ટીનોમાં રોજ સરેરાશ 300થી 400 કિલો મીઠાઈ ફરસાણ પહોંચાડે છે. આ રીતે જે 100 ટકાનો રોજનો ધંધો હતો એમાં કારખાના બંધ થવાથી કેન્ટીનો બંધ થઈ ગઈ હોવાથી 70 ટકાનો કાપ મુકાયો છે, હાલ 30 ટકા જ ધંધો થાય છે.
નગર પાલિકામાંથી મહાનગર બનેલા મોરબીમાં 10 ગ્રામ પંચાયત ભળ્યા બાદ તેના વિસ્તારમાં વધારો થવાની સાથે મતદારોની સંખ્યામાં ઉછાળો છે. મનપાના નવા સીમાંકન મુજબ નવી ભળેલી પંચાયતોમાં નવા વોર્ડ બનાવવાના બદલે 13 વોર્ડમાં જ સમાવવામાં આવ્યા છે, બીજી તરફ વોર્ડ રચનામાં પણ ફેરફાર થયો છે. જેમાં અગાઉ મોરબીના પશ્વિમ ભાગમાં 11 વોર્ડ અને પૂર્વ ભાગમાં 2 વોર્ડ હતા હવે મોરબી પશ્ચિમ ભાગનો એક વોર્ડ ઘટાડો કરી પૂર્વમાં એક વોર્ડ વધારો કરાયો છે. હાલ મોરબીના પૂર્વ ઝોનમાં સામાંકાઠા વિસ્તારની સાથે નવી ભળેલી મહેન્દ્રનગર (ઇન્દિરાનગર) ત્રાજપર, માળિયા વનાળીયા, ભડિયાદ (જવાહરનગર)નો સમાવેશ કરી એક વોર્ડ વધારો કરાયો છે અને પશ્ચિમ ભાગમાં એક વોર્ડ ઘટાડો કરી 10 વોર્ડ કરી દેવામાં આવ્યા છે અને તેમાં લીલાપર રવાપર શનાળા, નાની વાવડી, અમરેલી સહિતની પંચાયત નો સમાવેશ કરવામાં આવતા મતદારોની સંખ્યામાં મોટા પાયે ફેરફાર થયો છે. રાજ્યની વિવિધ નગરપાલિકા મહાનગર પાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 5 વર્ષની ટર્મ પૂર્ણ થતા હવે વહીવટદાર શાસન લાગુ થયું છે અને હવે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તારીખ નજીકના સમયમાં જાહેર થાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે. એસઆઈઆરની કામગીરી આટોપી લેવાયા બાદ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ઝડપથી નવી પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે અને તે મતદાર યાદી જાહેર થઈ ચુકી છે. નવી યાદી મુજબ, કુલ 13 વોર્ડમાં 2,08,470 મતદારો થાય છે. આ 2,08,470 મતદારોમાં 1,08,579 પુરુષ મતદારો અને 99088 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. ગત 2021માં યોજાયેલી પાલિકાની ચૂંટણી મુજબ જોઈએ તો 57,819 મતદારોનો વધારો થયો છે. જો કે મોરબી મહાપાલિકા બન્યા બાદ તેમાં ભેળવેલી 10 ગ્રામ પંચાયતમાં ગામના નાગરિકો જ સૌથી મોટું પરીબળ હોવાનું સામે આવ્યું છે. મોરબી નગરપાલિકાની 2021 થયેલી ચૂંટણી દરમિયાન 1,50,651 મતદારો નોંધાયેલા હતા જેમાં 78,331 પુરુષ મતદારો જયારે 72,330 સ્ત્રી મતદારો હતા. 13 વોર્ડમાં સરેરાશ મતદારની સંખ્યા જોઈએ તો તે 16 હજાર જેટલી થઇ રહી છે. ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા બનેલી ટંકારાપાલિકામાં આ વર્ષ પ્રથમ વખત ચૂંટણી થવાની છે અને તેમાં પણ 6 વોર્ડ અને 24 સભ્યો રહેશે. ટંકારા નગરપાલિકા માં 5092 પુરુષ મતદાર અને 4839 સ્ત્રી મતદારો મળી 9931 મતદારો નોંધાયા છે. મોરબી નગરપાલિકા વખતે 13 વોર્ડ માટે 150651 મતદારો હતા એટલે કે વોર્ડના સરેરાશ મતદારોની સંખ્યા 11,500 આસપાસ હતી. જો કે 5 વર્ષ બાદ મનપામાં નવા વિસ્તાર ભળવા તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરમાં થયેલું સ્થળાંતર સરેરાશ મતદારોની સંખ્યામાં વધારો થવાનું મુખ્ય કારણ છે. જોકે હજુ સુધી મનપા દ્વારા વોર્ડ દીઠ મતદાર સંખ્યા અંગેની યાદી જાહેર ન કરવામાં આવતાં ક્યા વોર્ડમાં કેટલો વધારો અને ક્યાં કેટલો ઘટાડો થયો અને એક વોર્ડને બીજા વોર્ડમાં ભેળવી દેવાતા તેમાં શું ફેરફાર થયો તે અંગે હજુ તથ્યપૂર્ણ માહિતી મળ્યા બાદ જ સામે આવી શકશે. મોરબી મહાનગર પાલિકા વિસ્તારમાં 13 વોર્ડ અને 52 સભ્યો માટે હાલ 205 મતદાન મથક રહેશે. જે મતદારો વધ્યા છે તે હજુ વોર્ડ વાઇઝ વધારો જાહેર ન કરાયો હોવાથી હાલના સંજોગોમાં તો 13 વોર્ડ અને 52 સભ્ય માટે નિશ્ચિત 205 મતદાન મથક યથાવત રાખવામાં આવ્યા હોવાનું વહીવટી તંત્રે જાહેર કર્યું છે.
રામકથા:મનના દર્પણને સ્વચ્છ કરીએ : મોરારી બાપુ
માધાપર ખાતે ધીરેન મનજી દબાસિયા પરિવારના યજમાન પદે આયોજિત માનસ મુકુરાષ્ટક રામકથામાં મોરારી બાપુના વ્યાસપીઠથી કથા રસપાન થઈ રહ્યું છે ત્યારે રામકથાના ચોથા દિવસે બાપુ ગુરુની વંદના, ગુરુની પધરામણી, ગુરુ મહિમાના ગુણગાન ગાયા હતા. ગુરુના ચરણની રજ, તેમની ચેતના, તેમનો ભાવ આશિષ આપીને જ જાય છે તેમજ એવા ગુરુ જે સદગુરુને સાધ્યો હોય એની ચરણ રજ આપણા સૌના હૃદયના અરીસાને શુદ્ધ બનાવે છે. સાથે બાપુ 8 પ્રકારના દર્પણનું ઉલ્લેખ કર્યું હતું. યમુનાજીની સ્તુતિ સાથે સરિતા પવિત્ર હોય છે અને કબીર સાહેબને યાદ કરતા કબીર સતને છોડ્યું જ નથી. કચ્છના વખાણ કરતા કહ્યું કે મારો કચ્છડો તો રામાયણને પીવે છે. કચ્છ રામમય છે. રામકથામાં મહામંડલેશ્વર શિવરામ મોરબી, પિનાકીન મેઘાણી, અભેસિંહ રાઠોડ, દિગુભા ચુડાસમા, કવિ આલ, અનિલભાઈ ગજ્જર, પારૂલબેન કારા, જીણાભાઇ દાબાસિયા વગેરે સહિત સમગ્ર કચ્છ, ગુજરાત અને ઠેર ઠેરથી ભક્તો કથા શ્રાવણ કરવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 150 કારીગરો રસોઈમાં વ્યવસ્થામાં : 250 સેવાભાવી કાર્યકરો લોકોને જમાડી રહ્યામાધાપરમાં કથા શ્રવણ કરવા આવતા ભક્તો, શ્રોતાઓ માટે 24 કલાક ધમધમતુ મહા રસોડું બનાવવામાં આવ્યું છે. જેમાં દરરોજ વિવિધ ભોજન પીરસવામાં આવે છે. સવારે ચા, કોફી, નાસ્તો, બપોરે-સાંજે ભોજન, બહાર ગામો આવતા શ્રોતાઓ માટે રાતવાસાની પણ વ્યવસ્થા કરાઈ છે. રસોડામાં 150 કારીગરો વિવિધ રસોઈ બનાવવામાં વ્યસ્ત રહે છે. હાલે રોજ 20થી 30 હજાર લોકો માટે રસોઈ બનાવવામાં આવે છે. માધાપર અને આસપાસના ગામોના લોકો રસોડા વ્યવસ્થામાં 250 કાર્યકરો સેવા આપી રહ્યા છે. હજી વધુ શ્રોતાઓ આવશે તે માટે પણ પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
સમાજમાં રોષ:શારદાપીઠ કોલેજના પ્રોફેસરની કથિત હિન્દુ વિરોધી પોસ્ટથી યાત્રાધામ દ્વારકામાં ઉગ્ર વિરોધ
યાત્રાધામ દ્વારકામાં જગતગુરુ શંકરાચાર્ય દ્વારા સંચાલિત પ્રસિદ્ધ શારદાપીઠ કોલેજના એક પ્રોફેસરની કથિત હિન્દુ વિરોધી સોશિયલ મીડિયા પોસ્ટને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે વિવાદ ઉભો થયો છે. પ્રોફેસર દ્વારા કથિત રીતે સોશિયલ મીડિયામાં હિન્દુ ધર્મ વિરુદ્ધ વાંધાજનક અને ભાવનાઓને ઠેસ પહોંચાડે તેવી પોસ્ટ મૂકવામાં આવી હોવાનો આક્ષેપ થતા હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલો બહાર આવતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકોમાં અસંતોષની લાગણી ફેલાઈ છે. આ ઘટનાને પગલે મંગળવગારે દ્વારકાના મુખ્ય માર્ગો પર હિન્દુ સંગઠનો દ્વારા વિશાળ વિરોધ રેલી યોજવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો રેલી માં જોડાયા હતા અને સૂત્રોચ્ચાર સાથે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. રેલી બાદ સંગઠનના આગેવાનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. સંગઠનોએ પોતાના આવેદનમાં જણાવ્યું હતું કે, શૈક્ષણિક સંસ્થામાં કાર્યરત વ્યક્તિ દ્વારા કોઈપણ ધર્મ અથવા સમાજની ભાવનાઓને ઠેસ પહોંચાડે તેવી પ્રવૃત્તિ કરવી યોગ્ય નથી. આવા નિવેદનો અને પોસ્ટો સમાજમાં વૈમનસ્ય અને તણાવ પેદા કરી શકે છે, તેથી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે. આ ઉપરાંત સંગઠનોએ ચાર મુખ્ય માંગણીઓ રજૂ કરી છે, જેમાં પ્રોફેસર વિરુદ્ધ યોગ્ય કાયદેસર કાર્યવાહી, સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ, ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે સખત માર્ગદર્શિકા અને શૈક્ષણિક સંસ્થામાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવા માંગ કરવામાં આવી છે. ઘટનાને લઈને શહેરમાં વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ઘણા લોકો દ્વારા સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ સ્થાનિક પ્રશાસન દ્વારા મામલાની નોંધ લઈ જરૂરી તપાસ કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. હાલ સમગ્ર પંથકની નજર આ મામલે આગળ શું પગલાં લેવાશે તે પર ટકી છે. પ્રવૃત્તિ ચિંતાજનક, ઉંડી તપાસ થવી જોઈએ... હિન્દુ સંગઠનના પ્રમુખ ગિરધર જોશીએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, કોલેજમાં અભ્યાસ કરતા મોટાભાગના વિદ્યાર્થીઓ હિન્દુ સમાજના હોવા છતાં આવા વિચારો ધરાવતા વ્યક્તિ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિ ચિંતાજનક છે. તેમણે જણાવ્યું હતું કે પ્રોફેસરની માનસિકતા અને સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પ્રવૃત્તિઓ ની ઊંડી તપાસ થવી જોઈએ અને જવાબદારી નિર્ધારિત કરી યોગ્ય પગલાં લેવામાં આવે. મુખ્ય ટ્રસ્ટી શંકરાચાર્યજીને આવેદન સુપ્રત કરાશે હિન્દુ સંગઠનો દ્વારા આપવામાં આવેલ આવેદનપત્ર સ્વીકારી લેવામાં આવ્યું છે.આ કોલેજ ટ્રસ્ટની હોય આ આવેદનપત્ર કોલેજના મુખ્ય ટ્રસ્ટી શંકરાચાર્યજીને સુપ્રત કરવામાં આવશે. જેમાં શંકરાચાર્યજી દ્વારા જે કંઈ પગલા લેવાશે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. - સંદીપ વાઢેર, પ્રિન્સિપાલ, શારદાપીઠ કોલેજ, દ્વારકા.
ફરિયાદ:અમરેલી ખાતે હિન્દુ સંમેલનના જમણવારમાં યુવાન પર હુમલો
અમરેલીના ચક્કરગઢ રોડ વિસ્તારમાં વિશ્વ હિન્દુ સંમેલનના જમણવાર કાર્યક્રમ દરમિયાન એક યુવાન પર હુમલો કરી જાતિ આધારિત અપમાન કર્યાનો બનાવ સામે આવ્યો છે. બનાવ અંગે અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે. અમરેલીના ચક્કરગઢ રોડ પર શુભ લક્ષ્મીનગર વિસ્તારમાં કિરણબેન પટેલના મકાનમાં ભાડેથી રહેતા અને મૂળ રાજુલાના ચિરાગ દીપકભાઈ બાબરીયા (ઉં.વ.23) હિન્દુ સંમેલનમાં જમવા ગયા હતા. જ્યાં પોતાનું બાઇક પાર્ક કરવા જતા હતા ત્યારે એક શખ્સ સ્કૂટર લઈને ત્યાંથી પસાર થતો હતો તે સમયે અહીંથી ગાડી આમ લે કહી અપશબ્દો બોલી અપમાનીત કર્યાની તેઓએ ફરિયાદ આપી છે. ફરિયાદ મુજબ ચક્કરગઢ રોડ પર રહેતા ચિરાગભાઈ હિન્દુ સંગઠનના એક કાર્યક્રમમાં જમવા ગયા હતા, જ્યાં તેઓ પિતાનું બાઇક પાર્ક કરવા જતા હતા તે દરમિયાન ત્યાં શિવકુ નામનો શખ્સ સ્કૂટર લઈને ત્યાંથી નીકળ્યો હતો, અને આ તારી ગાડી લઈલે કહી અપશબ્દો બોલી જતો રહ્યો હતો, બાદમાં જમવામાટે લાઇનમાં ઊભા હતા ત્યારે તે શખ્સ ફરી આવ્યો અને આ લોકોને અહીં કોણે જમવા બોલાવ્યા છે કહી ચિરાગભાઈને જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા. આ દરમિયાન ટોળું ભેગું થતા બે અજાણ્યા શખ્સો પણ ત્યાં આવી ગયા હતા, અને શિવકુ સહિત બે અજાણ્યા મળી ત્રણેયએ મળી માર મારી, છરી બતાવી મારી નાખવાની ધમકી આપી હતી, જે અંગે અમરેલી પોલીસે શિવકુ અને બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.
નિર્ણય:સમૂહલગ્નમાં વરરાજા ફેશનેબલ દાઢી નહીં રાખી શકે
ઉમિયા માતાજી ઇશ્વરરામજી ટ્રસ્ટ પ્રેરિત દેશલપર (વાંઢાય) વિસ્તાર સમૂહલગ્ન આયોજન સમિતિની સભા વાંઢાય ખાતે યોજાઇ હતી જેમાં આગામી આયોજન વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકના અધ્યક્ષ સ્થાનેથી આયોજન સમિતિના પ્રમુખ રમેશભાઈ પોકારે જણાવ્યું હતું કે છેલ્લા 17 વર્ષમાં માત્ર અખાત્રીજના જ 1170 દીકરા-દીકરીઓ લગ્નના પવિત્ર બંધને બંધાયા છે. આ વર્ષે નવા વર્ષથી લગ્ન નોંધણીનો પ્રારંભ કરાયો છે, તેમાં અત્યાર સુધી વ્યસન મુક્ત સંકલ્પબધ્ધ 15 યુગલો જોડાઈ ચૂક્યા છે. આ વર્ષે પણ વરરાજાએ ફેશનેબલ દાઢી રાખીને જોડાવાનું રહેશે નહીં. સમૂહલગ્નમાં જોડાનાર દરેક કન્યાને ચાંદીનો જુડો તેમજ વરને તલવાર દામજીભાઈ ધનજી હળપાણી પરિવાર દ્વારા ભેટ અપાશે. 5000/-થી ઉપરની નોંધ પત્રિકામાં તેમજ 25000/-થી ઉપરની રકમ આપનાર દાતા પરિવારનું સન્માન કરાશે. દીકરીઓને સરકારની યોજના સાત ફેરા તેમજ કુંવરબાઈનું મામેરું માટે લાભ અપાવવા સમિતિનો પ્રયાસ રહેશે તેવી જાણકારી નોંધણી સમિતિના કન્વીનર મનીષ ભાવાણીએ આપી હતી. સમૂહ લગ્નોત્સવના મુખ્ય યજમાન પુંજાભાઈ શિરવી તેમજ સંસ્થાના મહામંત્રી બાબુભાઈ ચોપડાએ સમૂહલગ્નમાં જોડાનારાએ પણ ઘરે વધારાનો ખર્ચ ન કરી અત્રે ઉપયોગી થવું જોઈએ તેમ જણાવ્યું હતું. દિનેશ સાંખલા, કિશોર રંગાણી તેમજ લક્ષ્મણભાઈ માવાણીએ સમિતિ દ્વારા વ્યસન તેમજ ફેશનેબલ દાઢી ઉપર પ્રતિબંધ મૂકી અન્ય માટે પ્રેરણારૂપ કાર્ય કર્યું છે તેમ જણાવ્યું હતું. જયંતી પોકારે સમૂહ લગ્નમાં જોડાવાથી મા-બાપની ચિંતા ઘણી ઓછી થઈ જાય છે તેમ જણાવ્યું હતું. સભાના પ્રારંભે સ્વાગત સહમંત્રી રતિલાલ પોકારે કર્યું હતું. કામગીરીનો અહેવાલ મહામંત્રી પ્રાણલાલ રામજીયાણીએ આપ્યો હતો. સમૂહ લગ્નોત્સવના આયોજન અંગેની માહિતી મંત્રી જયંતી ચોપડાએ આપી હતી. આભારદર્શન શાંતિલાલ ભાવાણીએ કર્યું હતું. ખજાનચી ગંગારામ ચૌહાણ, આયોજન સમિતિના ટ્રસ્ટી સલાહકાર વાલજી ચોપડા અને વાલજી વેલાણી, મંત્રી કરમશી પોકાર, સહમંત્રી અશોક પ્રેમજીયાણી તેમજ 20 ગામના સમાજ, યુવક મંડળ, મહિલા મંડળ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જામનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની 6 બેઠક માટે 11 નામની પ્રથમ યાદી આમ આદમી પાર્ટીએ જાહેર કરી છે. જામનગર જિલ્લા પંચાયતમાં કુલ 24 બેઠકોમાંથી 6 બેઠકો ઉપર ઉમેદવારોના નામ જાહેરાત કરાય છે જેમાં આમરા બેઠક નકુમ ઘનશ્યામભાઈ અમૃતલાલ, બેડ ની બેઠક કિરણભાઈ ફફલ,ચેલાની બેઠક ઉપરથી અમીનાબેન ખૈફ, મોરકંડાની બેઠક ઉપરથી મુકતાબેન રાઠોડ, નવાગામની બેઠક ઉપરથી સુનિતાબેન ભંડેરી અને પીઠડની બેઠક ઉપરથી પ્રફુલાબેન અઘેરાના નામની જાહેર કરવામાં આવી છે. આમ જામનગર જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકોમાંથી 6 બેઠક ઉપર નામની જાહેરાત થઇ છે. જામનગર જિલ્લા પંચાયતના 6 તાલુકા પંચાયતમાંથી 3 તાલુકા પંચાયતમાં કુલ 11 ઉમદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા જામનગર જિલ્લા પ્રમુખ વશરામભાઇ રાઠોડને સંકલન કરીને ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી ગોપાલભાઈ રાય અને પ્રદેશ અધ્યક્ષ ઇશુદાન ગઢવી તેમજ મંત્રી દ્વારા આ નામોની યાદી જાહેર કરી છે . જેમાં જામનગર તાલુકા પંચાયતમાં દડિયાની બેઠક ઉપરથી કાજલબેન લખીયર, હડિયાણાની બેઠક ઉપરથી ચિંતનભાઈ કાલાવડીયા,વંથલીની બેઠક ઉપરથી કેતનભાઇ કાચા, જીવાપરની બેઠક ઉપર સ્નેહાબેન સભાયા, ખીમરાણાની બેઠક ઉપરથી વિઠ્ઠલભાઈ માંડવીયા, ઠેબાની બેઠક ઉપરથી પ્રફુલાબેન માધાણીના નામની જાહેરાત કરેલ છે. જ્યારે કાલાવડ તાલુકા પંચાયતની પાંચ ઉમેદવારોની નામની યાદી જાહેર કરાઇ છે. જશાપરની બેઠક ઉપરથી કમલેશકુમાર હિરપરા, કાલમેઘડાની બેઠક ઉપરથી કાનજીભાઈ બથવાર, નાની વાવડીની બેઠક ઉપરથી ભાવનાબેન ભંડેરી,અને ધુનધોરાજીની બેઠક ઉપરથી બેબીબેન નોતીયાર, જ્યારે જોડિયા તાલુકાના મેઘપરની બેઠક ઉપરથી અરવિંદભાઇ ટાંકના નામની જાહેરાત કરાઇ છે.
ગોધરા શહેરમાં અફવાના લીધે 15 પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા વાહનોની લાંબી લાઇનો લાગી હતી. સાથે સંગ્રહખોરી કરવા લોકો કારબામાં પેટ્રોલ ભરાવતા પેટ્રોલપંપ સંચાલકોએ વાહન સિવાયમાં પેટ્રોલ આપવાનુ બંધ કરી દીધું. સોમવારે 8 કલાકમાં બે દિવસમાં વેચાણ થતું હજારો લીટર પેટ્રોલ અને ડિઝલનુ રેકોર્ડ બ્રેક વેચાણ થયું હતું. ત્યારે બીજા દિવસ પેટ્રોલપંપ પર સામાન્ય દિવસ જેવી ધરાકી રહી હતી. ગોધરામાં સોમવારે સાંજે 4 વાગ્યાની આસપાસ સોશિયલ મીડિયા પર પેટ્રોલ-ડીઝલની અછતની અફવા વાયુવેગે અફવા ફેલાતાં અફરાતફરી સર્જાઈ હતી. લોકોમાં ઇંધણ ખૂટી જવાની બીકે અનેક લોકો વાહનો સિવાય પ્લાસ્ટિકના કારબા અને કેન લઈને પેટ્રોલ ભરાવવા પહોંચ્યા હતા. જેના કારણે પંપ માલિકોએ તાત્કાલિક અસરથી ખુલ્લા પાત્રોમાં ઇંધણ આપવાનું બંધ કરી દીધું હતું.સામાન્ય દિવસમં શહેરના 15 પેટ્રોલ પંપ પર એક દિવસમાં 90 હજાર લીટર પેટ્રોલ-ડીઝલનુ વેચાણ થાય છે. પણ અફવાથી શહેરના 8 કલાકમાં બે દિવસનુ ઇંધણનુ રેકોર્ડ બ્રેક વેચાણ થઇ ગયું હતું. ગોધરા ખાતે શહેરના તમામ 15 પંપો પર મોડી રાત્રી સુધી વાહનોની કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી હતી. સોમવારે માત્ર ગણતરીના કલાકોમાં 75,000 લિટર પેટ્રોલ અને 1,05,000 લિટર ડીઝલનું રેકોર્ડબ્રેક વેચાણ થયુ હતું. પેટ્રોલ ડીઝલનો પુરતો સ્ટોક છે આ સદંતર ખોટી અફવા છે. હાલમાં દરેક પંપ પાસે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. શહેરના 15 પેટ્રોલપંપ પર કલાકોમાં 75 હજાર લીટર પેટ્રોલ અને 1.05 લાખ લીટર ડિઝલનુ વેચાણ થયું હતું. આવી અફવાઓને કારણે સામાન્ય જનતા અને અન્ય વાહનચાલકો હેરાન થાય છે, માટે કોઈએ ગભરાવાની જરૂર નથી.હવે સ્થિતિ સામાન્ય છે લોકોને આરામ થી પેટ્રોલ ડીઝલ મળી રહ્યું છે. - પરાગભાઇ શાહ, પંચ. ડીઝલ પેટ્રોલ એસો.ના પ્રમુખ
કાર્યવાહી:ગોધરામાં યુવતીનું ફેક આઇડી બનાવનાર સામે પોલીસ ફરિયાદ
ગોધરામાં યુવતીના નામે ફેક ફેસબુક આઈડી બનાવી અન્ય લોકો સાથે મેસેજિંગ કરાયાની ઘટના મામલે ભુરાવાવ વિસ્તારની યુવતી દ્વારા શહેર એ ડિવિઝન મથકે સાયબર ફરિયાદ નોંધાવાઇ છે. જેમાં તેઓ હાલ એક ખાનગી નર્સિંગ હોમમાં સ્ટાફ નર્સ તરીકે કાર્યરત છે. યુવતીના મોબાઇલમાં 2020થી પોતાના નામથી ફેસબુક એકાઉન્ટ વાપરે છે. 3 નવેમ્બરે બપોરે તેમને તેમના ઓળખીતાએ ઇન્સ્ટાગ્રામ મારફતે જાણ કરી કે તેમના નામથી કોઈ વ્યક્તિ ચેટિંગ કરી રહ્યો છે. ત્યારબાદ તપાસ કરતાં જાણવા મળ્યું કે યુવતીના નામથી એક ફેક ફેસબુક આઈડી બનાવવામાં આવી છે. જેમાં તેમના ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફેક આઈડી દ્વારા અલગ-અલગ યુવતીઓ સાથે મેસેજિંગ કરી વાતચીત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી યુવતીએ સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. બાદ શહેર એ ડિવિઝન મથકે અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવા પામી છે.
નાગરિકોમાં રોષ:માંડવીમાં જાહેર માર્ગો પર નદી જેમ વહેતું ગંદુ પાણી
માંડવી શહેરમાં ફરી એકવાર ગંદકી અને ગટર સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરતી જોવા મળી રહી છે. તાજેતરમાં રુક્માવતી નદીમાં નોનવેજ વેસ્ટ ફેંકાતા નાગરિકોએ પાલિકા કચેરીએ જઈ રોષ વ્યક્ત કર્યો હતો, તે મામલો શાંત પણ ન થયો કે હવે તારામતી બાગ વિસ્તાર પાસે ગટરનું ગંદુ પાણી છેલ્લા પાંચ દિવસથી નદીની જેમ વહેતા નવી સમસ્યા ઊભી થઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ભુજ ઓક્ટ્રોય નજીક અને તારામતી બાગ આસપાસ આવેલી હોટલ અને રેસ્ટોરન્ટમાંથી નીકળતો રસોડાનો કચરો ગટરમાં ઠાલવાતા ગટર લાઇન ચોકઅપ થઈ ગઈ છે. જેના કારણે સેન્ટર પોઇન્ટ વિસ્તાર પાસે રસ્તાઓ પર ગંદુ પાણી વહેતા લોકો માટે અવરજવર મુશ્કેલ બની છે અને આસપાસ દુર્ગંધ ફેલાઈ રહી છે. નાગરિકોએ આ બાબતે પાલિકા તંત્રને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. વર્ષે 2024માં માંડવી શહેરમાં ઝાડા-ઉલટીના કેસો વધતા તા. 26 જૂનથી 25 જુલાઈ સુધી શહેરને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું હતું. હાલની પરિસ્થિતિને જોતા ફરી આવી સ્થિતિ સર્જાય તેવી ભીતિ નાગરિકોમાં વ્યક્ત થઈ રહી છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓની મુદત પૂર્ણ થતા હાલ વહીવટદાર અને ચીફ ઓફિસર પર જ જવાબદારી હોવા કારણે લોકો તાત્કાલિક સફાઈ અને ગટર વ્યવસ્થાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. નહીંતર રોગચાળો ફેલાય તો તેની સંપૂર્ણ જવાબદારી પાલિકા તંત્ર પર રહેશે એવી ચેતવણી પણ શેરીજનોએ ઉચ્ચારી છે. 2024માં કોલેરાનો કેસ નોંધાયો હતો, એજ વિસ્તારમાં ગટરના પાણીમાંડવીના ભુજ ઓક્ટ્રોય નજીકના વિસ્તારમાં વર્ષ 2024 દરમિયાન કોલેરાનો પોઝિટિવ પ્રથમ કેસ નોંધાયો હતો. હાલ એ જ વિસ્તારમાં ફરી ગટરનું ગંદુ પાણી નદીની જેમ વહેતા આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું થયું છે.તાજેતરમાં સલાયા વિસ્તારના રહેવાસીઓએ પાલિકા કચેરીમાં ગટરનું ગંદુ પાણી ઠલવી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. તેમ છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી.હવે સેન્ટર પોઇન્ટ વિસ્તારમાં ગટર સમસ્યા દૂર નહીં થાય તો વેપારીઓ દ્વારા પાલિકા સામે ઉગ્ર વિરોધ કરવાની ચીમકી આપવામાં આવી છે. અને આરોગ્ય વિભાગ આરામ કરતો હોય તેવું લાગી રહ્યું છે
ફરિયાદ:ડાયવર્ઝન યોગ્ય રીતે કાઢવાનું કહેતા પ્રૌઢને કુટુંબીએ કુહાડી મારી
વિસાવદર તાલુકાના મહુડી ગામે ડાયવર્ઝન યોગ્ય રીતે કાઢવાનું કહેતા પ્રૌઢને કુટુંબીએ કુહાડી મારી ઇજા પહોંચાડી હતી. મહુડી ગામે રહેતા 47 વર્ષીય બીછુભાઈ ગટુભાઈ ખાદા ગત તારીખ 25 ફેબ્રુઆરીના રોજ સાંજે 5:30 વાગ્યે મહુડા થી મહુડી ગામ તરફ જવા માટે ડાયવર્ઝનનું કામ ચાલતું હોય ત્યાં ગયા હતા. જ્યાં હાજર કોન્ટ્રાક્ટર ડાયવર્ઝન યોગ્ય રીતે કરવા જણાવ્યું હતું. તે દરમિયાન કુટુંબી બદરૂભાઈ નાનાભાઈએ આવી ગાળાગાળી શરૂ કરી હતી. બોલાચાલી કરતા બીછુભાઈ ત્યાંથી નીકળી પોતાના ઘરે જતા રહ્યા હતા. જ્યાં પાછળથી બદરૂભાઈએ આવી સીધા જ કુહાડી વડે મારવાનું શરૂ કરતાં ભત્રીજાએ આડા પડી છોડાવ્યા હતા. બાદમાં શખ્સ જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો. ઈજાગ્રસ્ત બિછુભાઈને સારવાર માટે વિસાવદર ખાતેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બદરૂભાઈ કુટુંબી ભાઈ થતા હોય જેથી સમાજના આગેવાનોએ ફરી વખત બનાવ નહિ બને એવી ખાતરી આપતા પોલીસ ફરિયાદ કરી ન હતી. આ પછી 4 માર્ચના રોજ હાથમાં દુખાવો થતાં બિછુભાઈ વિસાવદર સરકારી હોસ્પિટલમાં દાખલ થયા હતા ત્યારે શખ્સની બીક લાગતા પોલીસને અરજી આપી હતી. શખ્સ વારંવાર કનડગત કરતો હોય અને સમાજના આગેવાનોનું માન રાખતો ન હોય આખરે મંગળવારે બીછુભાઈએ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
વ્યાજખોરીનો ચકચારી કિસ્સો:વ્યાજખોરો વિરુદ્ધ પોલીસની ડ્રાઇવએ વેપારીને આપઘાત કરતાં બચાવ્યો
હિંમતનગરમાં વ્યાજખોરીનો ચકચારી કિસ્સો બહાર આવ્યો છે. વેપારીએ પોતાના મિત્રને મદદ કરવા અપાવેલ 50 લાખ સામે વ્યાજખોરે અત્યાર સુધીમાં 1.35 કરોડ પડાવી લીધા બાદ પણ વ્યાજખોર દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ અને પઠાણી ઉઘરાણી ચાલુ રાખતા, માનસિક રીતે ભાંગી પડેલા વેપારીએ આખરે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરથી રક્ષણ અને ન્યાય નહીં મળે તો આત્મહત્યાના વિચાર આવતાં હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસમાં વ્યાજખોરો વિરુદ્ધ ડ્રાઈવ શરૂ કરાયાની જાણ થતાં હિંમત કરીને રૂરલ પોલીસ સ્ટેશનમાં પહોંચી ફરિયાદ નોંધાવતા વ્યાજખોર ફિરોજખાન ફરાર થઇ ગયો હતો. સવગઢમાં રહેતા તૌફિકભાઈ રજ્જાકભાઈ મેમણે વર્ષ 2015-16 માં તેમના મિત્ર ભીખુસિંહ રાઠોડને ટ્રાન્સપોર્ટના ધંધામાં મંદી આવતાં નાણાંની જરૂર પડી હોવાથી તૌફિકભાઈએ મધ્યસ્થી બનીને પોતાની જવાબદારી પર હિંમતનગરના ફિરોજખાન ઉર્ફે વકારભાઇ ઇકબાલખાન પઠાણ પાસેથી 50 લાખ 5 ટકાના માસિક વ્યાજે અપાવ્યા હતા. આ વ્યવહાર પેટે વેપારીના બેંકના કોરા ચેકો પણ લખાવી લીધા હતા. ત્યારબાદ શરૂઆતમાં ભીખુસિંહે ચાર મહિના સુધી 2.50 લાખ લેખે 10 લાખ વ્યાજ ચૂકવ્યું હતું. પરંતુ બાદમાં ભીખુસિંહનો ધંધો ઠપ થતાં વ્યાજ ચૂકવવાની જવાબદારી તૌફિકભાઈ પર આવી પડી હતી. તેમણે વ્યાજ પેટે જ અત્યાર સુધીમાં કુલ 90 લાખ ચૂકવી દીધા છે. ત્યારબાદ પોતાની જમીન અને દુકાનો વેચીને પણ લાખો રૂપિયા આપ્યા હતા. કુલ મળીને 50 લાખની મુદ્દલ સામે 1.35 કરોડ ચૂકવી દીધા છતાં વ્યાજખોર હજુ પણ 50 લાખની ઉઘરાણી કરી અવારનવાર ઘરે જઈને ગાળો બોલતો હતો. એટલું જ નહીં, વેપારીની પત્ની અને બાળકોની હાજરીમાં જાનથી મારી નાખવાની ધમકીઓ આપી માનસિક ત્રાસ ગુજારતો હતો. મોબાઈલ ફોન પર પણ સતત ધમકીઓ આપતો હતો. જેના કારણે વેપારી 15 દિવસથી તૌફિકભાઈ આત્મહત્યા કરવાના વિચારો કરી રહ્યા હતા. પરંતુ વ્યાજખોરો વિરુદ્ધ ડ્રાઈવ શરૂ કરાયાની જાણ થતાં હિંમત કરીને રૂરલ પોલીસ સ્ટેશનમાં પહોંચી આપવીતી વર્ણવી આરોપી વિરુદ્ધના પુરાવા તરીકે ફોન રેકોર્ડિંગ અને સીસીટીવી પણ પેનડ્રાઈવમાં પોલીસને સોંપીને ફિરોજખાન ઉર્ફે વકારભાઇ ઇકબાલખાન પઠાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ વ્યાજખોરને જાણ થઈ જતાં ભાગી ગયો હતો. વ્યાજખોરો વિરુદ્ધ પોલીસની ડ્રાઇવએ વેપારીને આપઘાત કરતાં બચાવ્યો આરોપીએ એવી શરત મૂકી હતી કે તે પૈસા ભલે ભીખુસિંહના ધંધા માટે હોય. પરંતુ તે પૈસા પોતે તૌફિકભાઇના હાથમાં જ આપશે.,આરોપીએ સ્પષ્ટ કર્યું હતું કે આ રકમનું મુદ્દલ અને વ્યાજ તે માત્ર તૌફિકભાઇ પાસેથી જ વસૂલશે. {પૈસા આપતાં પહેલા સુરક્ષાના નામે તૌફિકભાઇના ઓરીએન્ટલ બેંકના ખાતાના કોરા ચેકો લીધા હતા.,રકમ આપતી વખતે માસિક 5% લેખે ઊંચું વ્યાજ નક્કી કરાયું હતું. ફોર્ચ્યુનર અને દુકાનો વેચી તૌફિકભાઇએ 34 લાખ રોકડા આપ્યા ધિરાણ કરેલી મુદ્દલ રકમ : 50 લાખ, માસિક વ્યાજ : શરૂઆતમાં 5 ટકા, માસિક વ્યાજના હપ્તા : 5% લેખે દર મહિને રૂ. 2.50 લાખ વ્યાજ તરીકે ચૂકવતા., શરૂઆતના 4 મહિના : દર મહિને 2.50 લાખ લેખે કુલ રૂ. 10 લાખ વ્યાજ ચૂકવ્યું હતું., ત્યારબાદના 4 વર્ષ : તૌફિકભાઈએ દર મહિને 2.50 લાખ લેખે કુલ રૂ. 90 લાખ વ્યાજ પેટે ચૂકવ્યા હતા.,ગાડીનું વેચાણ : ભીખુસિંહે પોતાની ફોર્ચ્યુનર નં. GJ-09-8300 તૌફિકભાઇને આપી હતી. જે વેચીને રૂ. 14 લાખ આપ્યા હતા.,દુકાનોનું વેચાણ : તૌફિકભાઇએ રેહાન કોમ્પ્લેક્ષની દુકાનો વેચીને આરોપીને 20 લાખ રોકડા આપ્યા હતા.,ટુકડે-ટુકડે આપેલી રકમ : વ્યાજખોરના ત્રાસ અને ધમકીના કારણે સમયાંતરે બીજા 15 લાખ ચૂકવ્યા હતા.,વધારાની માંગણી : તેની મૂળ મુદ્દલ રૂ. 50 લાખ પરત માંગીને ત્રાસ આપી રહ્યો છે. વર્ષ 2018 થી આરોપીએ 2% વ્યાજ લેવાનું નક્કી કરી માસિક રૂ. 1 લાખની માંગણી કરી રહ્યો હતો. કેસમાં મહત્તમ 7 વર્ષની સજાની જોગવાઈકલમ 308(2) - ભય બતાવી જબરદસ્તીથી કઢાવવું 7 વર્ષ સુધીની કેદ અને દંડની જોગવાઈ. . કલમ 351(2) - જાનથી મારી નાખવાની કે ગંભીર ઈજા પહોંચાડવાની ધમકી આપવી, 2 વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંને. જો ધમકી મૃત્યુ નિપજાવવાની હોય, તો સજા 7 વર્ષ સુધી વધી શકે . કલમ 352 - જાહેર કે ખાનગીમાં ગાળો બોલી વ્યક્તિની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવી 2 વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંને. .ગુજરાત નાણાંની ધીરધાર અધિનિયમની વિવિધ કલમોમાં 1 વર્ષથી માંડી 2 વર્ષની સજા અને 5 હજાર દંડ
તપાસ:ખાવડાના પેટ્રોલ પંપ પર ડીઝલમાં પાણી હોવાથી કાર ખરાબીનો આક્ષેપ
ખાવડામાં આવેલા એક પેટ્રોલ પંપ પરથી પુરાવવામાં આવેલ ઈંધણમાં પાણી હોવાને કારણે ગ્રાહકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે. આ બાબતે સોઢા ભગવાનસિંહ વિજરાજજી નામના વાહન ચાલકે જિલ્લા પુરવઠા અધિકારીને લેખિતમાં જાણ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. ગત માર્ચના રાત્રે 9:26 કલાકે ફરિયાદીએ પોતાના વાહન (નંબર GJ 12 FF 6992) માં ખાવડા સ્થિત HP પેટ્રોલ પંપ પરથી 2૦૦૦/- નું ડીઝલ ભરાવ્યું હતું. ડીઝલ ભરાવ્યાના થોડા જ સમય બાદ રસ્તામાં અચાનક ગાડી બંધ પડી ગઈ હતી. તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે ગાડીની ટાંકીમાં રહેલા ડીઝલમાં મોટા પ્રમાણમાં પાણી મિશ્રિત હતું. ફરિયાદીના જણાવ્યા અનુસાર, જ્યારે આ બાબતે પેટ્રોલ પંપના માલિકને રજૂઆત કરવામાં આવી, ત્યારે તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપવાને બદલે અસહકારપૂર્ણ અને ધમકીભર્યું વર્તન કર્યું હતું. માલિક દ્વારા “તમારાથી થાય તે કરી લો” જેવા શબ્દો વાપરીને ગ્રાહકને હાંકી કાઢવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ પત્રમાં કરવામાં આવ્યો છે. વાહન ચાલક પાસે ડીઝલની રસીદ, UPI પેમેન્ટનો પુરાવો તેમજ ટાંકીમાંથી નીકળતા પાણીના ફોટોગ્રાફ્સ અને વીડિયો પુરાવા તરીકે ઉપલબ્ધ છે. ગાડી બંધ પડી જવાથી તેને ક્રેન દ્વારા ખેંચી જવી પડી હતી, જેના કારણે વધારાનો ખર્ચ અને માનસિક પરેશાની ભોગવવી પડી છે. આ બાબતે જિલ્લા પુરવઠા અધિકારી અર્શ હાશમીએ જણાવ્યું હતું કે અમને આ બાબતે ફરિયાદ મળી છે, ગઈકાલે ટીમને તપાસ માટે મોકલવામાં આવી હતી. પરંતુ પેટ્રોલ પંપ પર ડીઝલનો જથ્થો પૂર્ણ થઇ ગયો હોવાથી સેમ્પલ કેવી રીતે લેવું તેવી મુજવણ સર્જાઈ હતી. જો કે આ ફરિયાદ બાબતે યોગ્ય રીતે તપાસ કરવામાં આવી રહી છે.
બેઠક:સુરક્ષા વ્યવસ્થા, નિયંત્રણના આયોજન,વીજળી, શુદ્ધ પીવાનું પાણી, આરોગ્યલક્ષી સેવાઓ અંગે ચર્ચા કરાઈ
પોરબંદર કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને આગામી માધવપુર ઘેડ મેળો-2026ના સુચારુ આયોજન અને પૂર્વતૈયારીઓ સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નિવાસી અધિક જિલ્લા કલેક્ટર રેખાબા સરવૈયાએ મેળાના આયોજન માટે રચાયેલી વિવિધ સમિતિઓને સોંપવામાં આવેલા કામોની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે ખાસ કરીને મેળા દરમિયાન આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે સુરક્ષા વ્યવસ્થા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ભીડ નિયંત્રણના આયોજન પર ભાર મૂક્યો હતો. વધુમાં, માર્ગ વ્યવસ્થાપન અંતર્ગત સ્ટોલ ફાળવણી, ટ્રાફિક નિયમન અને પાર્કિંગની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.મેળાના સુવ્યવસ્થિત સંચાલન માટે વીજળી, શુદ્ધ પીવાનું પાણી, આરોગ્યલક્ષી સેવાઓ અને સમગ્ર મેળા વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહે તે બાબતોને પણ બેઠકમાં આવરી લેવામાં આવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રદર્શનના આયોજનમાં કોઈ કચાશ ન રહે તે માટે સમિતિના સભ્યોને સમયમર્યાદામાં તૈયારીઓ પૂર્ણ કરવા સૂચના અપાઈ હતી.આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી.એલ. વાઘાણી, પ્રાંત અધિકારી સંદીપ જાદવ, પ્રાંત અધિકારી નેહા સોજીત્રા, ડીવાયએસપી સુરજીત મહેડુ, ડીવાયએસપી ધ્રુવલ સુતરીયા, સહિત સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. યાત્રાળુઓને પાયાની સુવિધાઓ સરળતાથી મળે તે પ્રાથમિકતામાધવપુરનો મેળો એ આપણી સાંસ્કૃતિક વિરાસતનું પ્રતીક હોવાથી યાત્રાળુઓને પાયાની સુવિધાઓ સરળતાથી મળી રહે અને મેળો નિર્વિઘ્ને સંપન્ન થાય તે તંત્રની પ્રાથમિકતા રહેશે. > રેખાબા સરવૈયા,નિવાસી અધિક કલેક્ટર
છેતરપિંડી:અડવાણા ગામના યુવાન સાથે ધ્રોલના શખ્સે રૂ.10.73 લાખની ઠગાઈ કરી
જામનગરમાં ધ્રોલ ગામે રહેતો જીવન દેવજી ચાવડા નામના આરોપીએ પોરબંદરના અડવાણા ગામના લીલા વસ્તાભાઈ કારાવદરા નામના યુવાનના રાજશાખા રોડવેજ નામની ટ્રેડીંગની ઓફિસ મારફત ફ્લાઈસની ટ્રક નંગ 53, જેની ટ્રાન્સપોટેશન સહીતની ફ્લાઈસની કિ.રૂ. 33.68 લાખની મંગાવી હતી અને પ્રથમ ટ્રકના પુરા રૂપીયાની ચુકવણી કરી, યુવાન સાથે વિશ્વાસ કેળવી અને વિશ્વાસ ટકાવવા માટે કટકે કટકે રૂ. 22.95 લાખની ચુકવણી કરી હતી અને બાકીના નિકળતા રૂ.10.73 લાખ જેટલી રકમની આરોપીએ ચુકવણી કરી ન હતી અને યુવાન સાથે ઠગાઈ કરી હતી. આરોપીએ યુવાનને ફોન પર ભુંડી ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી અને યુવાનને એટ્રોસીટીના કેસમાં ફસાવી દેવાની કે પોતાના પરીવાર સાથે આત્મહત્યા કરવાની કૌશિષ કરીને યુવાનને ફસાવી દેવાની ધમકીઓ આપી હતી. આ બાબતે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી જીવન દેવજી ચાવડા સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી બગવદર પોલીસ ચલાવી રહી છે.
તપાસ:જિલ્લા રોજગાર કચેરી દ્વારા 3 વર્ષમાં કરેલા કાર્યક્રમોમાં રૂ.1 કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપો
પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા છેલ્લા 3 વર્ષમાં જોબફેર,નિવાસી તાલીમ અને કેરીયર કાઉન્સેલરમાં રૂ.1,06,68,410નો ખર્ચે કર્યો છે તો 3 વર્ષમાં 74 જેટલા જોબફેરમાં 4204 ઉમેદવારોને રોજગારી આપી હોવાનું સામે આવ્યું છે ત્યારે રોજગાર કચેરી દ્વારા કરવામાં આવેલ ખર્ચેમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. પોરબંદરના જિલ્લા રોજગાર કચેરી દ્વારા સમયાંતરે જોબફેર,નિવાસી તાલીમ સહિતના વિવિધ કાર્યકમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે પોરબંદરના આર.ટી.આઈ.એક્ટિવિસ્ટ ભનુભાઇ નાગાભાઇ ઓડેદરા, દ્વારા પોરબંદર જિલ્લા રોજગાર કચેરીમાં આર.ટી.આઇ.હેઠળ માહિતી માંગવામાં આવી હતી.આ આર.ટી.આઈ.ની માહિતી કચેરી દ્વારા જાહેર કરવામાં આવી હતી જેમાં પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.01/01/2023 થી તા.15/02/2026 સુધી માં કુલ 74 ભરતીમેળાનું આયોજન કરેલ છે. જેમાં કુલ 4204 ઉમેદવારોને રોજગારી આપવામાં આવી છે.કચેરી દ્વારા છેલ્લા 3 વર્ષમાં (જાન્યુઆરી-2023 થી જાન્યુઆરી-2025) મહેકમ ,કચેરી ખર્ચ- રૂ 81,39,793, જોબફેરમાં રૂ. 7,12,803,કેરીયર કોર્નરમાં રૂ.48,650,નીવાસી તાલીમ વર્ગમાં રૂ.5,38,138, કેરીયર કાઉન્સેલરમાં રૂ.12,15,468,એસ.ટી કુપનમાં રૂ.13,562 ૧૩,૫૬૨ મળી કુલ 1,06,68,410 રૂપિયાનો ખર્ચે કરવામાં આવ્યો છે.ત્યારે આ કચેરી દ્વારા વિવિધ કામગીરીના ખર્ચમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. એક જોબફેરનો રૂ.9632 ખર્ચે કરાયો પોરબંદરની રોજગાર કચેરી દ્વારા 3 વર્ષમાં 74 જોબફેર યોજવામાં આવ્યા છે ત્યારે આ જોબફેરનો રૂ.7,12,803નો ખર્ચે કરાયો છે ત્યારે એક જોબફેરનો રૂ.9632 ખર્ચે કરાયો છે પરંતુ મોટાભાગના જોબફેર સ્કૂલ અને કોલેજના બિલ્ડીંગ થતા હોવાથી આ ખર્ચે કેવા માટે કરાયો છે તેવા પણ સવાલો ઉઠ્યા છે.
ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહ પ્રસંગની સ્મૃતિમાં યોજાતો સુપ્રસિદ્ધ માધવપુરનો મેળો આ વર્ષે પણ પરંપરાગત ઉજવવામાં આવશે. આ વર્ષના આયોજન અંગે વિગતો જાહેર કરવામાં આવી છે. દર વર્ષની માફક આ વર્ષે પણ મેળામાં પશ્ચિમ ભારત અને ઉત્તર-પૂર્વ ભારતના કલાકારોની સંયુક્ત સાંસ્કૃતિક પ્રસ્તુતિ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે. આ મેળો તા. 27 માર્ચ 2026 થી 31 માર્ચ 2026 દરમિયાન યોજાશે, જેમાં દરરોજ રાત્રે નોર્થ-ઈસ્ટ, ગુજરાત અને બંનેના ફ્યુઝન નૃત્યોની ગ્રાઉન્ડ કોરિયોગ્રાફી રજૂ કરવામાં આવશે. આ આયોજન દ્વારા ગુજરાત અને પૂર્વોત્તર રાજ્યો વચ્ચેના પ્રાચીન સંબંધોને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં બંને પ્રદેશોના કલાકારો એક જ મંચ પર આવી પોતાની કલા અને પરંપરાનું પ્રદર્શન કરશે.આ ઉપરાંત સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપવા માટે દરરોજ 30 મિનિટ સ્થાનિક ગ્રુપની પ્રસ્તુતિ પણ રાખવામાં આવી છે. મેળાના અંતિમ દિવસે તા. 31.03.2026 ના રોજ દ્વારકા ખાતે રાજેશ આહિર એન્ડ ગ્રુપના કાર્યક્રમ સાથે મલ્ટી મીડિયા શો અને ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે. ક્યાં ક્યાં કલાકારો ભાગ લેશે સમગ્ર મેળા દરમિયાન વિવિધ ખ્યાતનામ કલાકારો દ્વારા પ્રસ્તુતિ આપવામાં આવશે. કાર્યક્રમની રૂપરેખા મુજબ, પ્રથમ દિવસે તા. 27 મીએ જાણીતા લોક ગાયિકા ગીતાબેન રબારી, 28 મીએ રાજ ગઢવી અને મયુર દવે, 29મીએ ઋષભ આહિર તેમજ 30મીએ શ્યામલ-શબદ ગ્રુપ દ્વારા કૃષ્ણમય સંગીતની સભાઓ યોજાશે.
યુદ્ધની અસર:ડીઝલના અભાવે એકલ-બાંભણકા માર્ગનું કામ બંધ
ખડીરને ભચાઉ તાલુકાથી જોડતા ટૂંકા અંતરના એકલ-બાંભણકા માર્ગનું કામ યુધ્ધના કારણે સર્જાયેલી ડીઝલની અછતના કારણે બંધ કરી દેવાયું છે. જો યુધ્ધ લાંબું ચાલ્યું અને ચોમાસા પૂર્વે રોડ નિર્માણ કાર્ય પૂરૂં નહીં થાય તો માર્ગ ધોવાઇ જશે તેવી ભીતિ લોકોને સતાવી રહી છે. ગત ચોમાસે ખાબકેલા વરસાદથી રણમાં વિક્રમજનક રીતે પાણી ભરાઇ જવાથી આ રોડ તૂટ્યો હતો જેને રિપેર કરવામાં જ વધારાનો સમય નીકળી ગયો તેવામાં ફરી કામ બંધ થઇ ગયું છે. આ બાબતે બાંભણકાના પૂર્વ સરપંચ બહાદૂરસિંહ સોઢાએ જણાવ્યું હતું કે, અમેરિકા-ઇરાન યુધ્ધની અસર એકલ-બાંભણકા માર્ગ પર જોવા મળી રહી છે. પૂર ઝડપે ચાલી રહેલા કામ પર હવે માત્ર ડામર પાથરવાનું બાકી છે ત્યારે ડીઝલની અછતે અડચણ ઉભી કરી છે. તંત્રના દાવા પ્રમાણે કોઇ તંગી નથી પણ જે વાહન કામમાં લેવાતું હોય તે જો છેક પેટ્રોલ પંપ સુધી ડીઝલ ભરાવા જાય તો સમય અને નાણાનો વ્યય થાય અને કામ કરનાર ઠેકેદારને પોષાય પણ નહીં. હાલની પરિસ્થિતિમાં કાળા બજાર ન થાય તે માટે પંપ પર ઇંધણ ભરાવાનો નિયમ બરોબર છે પણ સેંકડો વાહનો રોડના કામમાં રોકાયેલા હોઇ અને પેટ્રોલ પંપ પણ દૂર હોઇ યોગ્ય ખાતરી કરીને ટેન્કર ભરી દેવાની છૂટ આપવી જોઇએ. ચોમાસું નજીક આવતાં બન્યું બનાવેલું કામ માત્ર ડીઝલના અભાવે ધોવાઇ જશે તો સમય અને ખર્ચો પણ વધી જશે. 5 હજારથી 8 હજાર લિટર ડીઝલનો જથ્થો સંગ્રહિત રાખતા હતા, જે હવે મુશ્કેલ બન્યુંજિલ્લામાં બેરલમાં ડીઝલ આપવાનું બંધ કરવાના પરિપત્ર બાદ સરકારી કામ કરતા કોન્ટ્રાક્ટરો માટે ગંભીર મુશ્કેલી ઊભી થઈ છે. માર્ગ રીપેરિંગ અને નવીનીકરણના કામો પર સીધી અસર જોવા મળી રહી છે. ઠેકેદારોના જણાવ્યા મુજબ એક સામાન્ય પ્રોજેક્ટ માટે તેઓ અગાઉથી અંદાજે 5,000થી 8,000 લિટર ડીઝલનો જથ્થો સંગ્રહિત રાખતા હતા, જે કામ દરમિયાન ચારથી પાંચ દિવસમાં વપરાઈ જાય છે અને ત્યારબાદ ફરીથી બેરલમાં ભરાવવું પડતું હતું. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી છૂટક ડીઝલ વેચાણ પર પ્રતિબંધ લાગતા હવે મશીનરી ચલાવવી મુશ્કેલ બની રહી છે. કોન્ટ્રાક્ટરો કહે છે કે જો આગામી બે-ત્રણ દિવસમાં બેરલમાં ડીઝલ આપવાની છૂટ આપવામાં નહીં આવે તો રસ્તા, સિમેન્ટ રોડ અને ડામર કામો અટકી શકે છે. ખાસ કરીને જેસીબી, હિટાચી જેવી ભારે મશીનોને સતત ડીઝલની જરૂરિયાત રહેતી હોવાથી કામની ગતિ પર અસર પડી રહી છે. તેમજ પેવર મશીન અને ડામર પાથરવાના કામ માટે પણ ડીઝલ આવશ્યક છે. હાલની પરિસ્થિતિમાં ડીઝલ ઉપલબ્ધ ન હોવાથી ઘણા કામો ધીમી ગતિએ ચાલી રહ્યા છે. કોન્ટ્રાક્ટરો દ્વારા સરકારને વિનંતી કરવામાં આવી છે કે સરકારી પ્રોજેક્ટોને ધ્યાનમાં રાખીને બેરલમાં ડીઝલ પૂરવઠા માટે તાત્કાલિક રાહત આપવામાં આવે, નહિતર આગામી દિવસોમાં મોટા પાયે કામ બંધ થવાની શક્યતા છે. કામ વિલંબમાં પડવાની પૂરી શક્યતાએકલ-બાંભણકા રોડ પર એન્જિનિયર તરીકે કાર્યરત દીપક પટેલને ડીઝલની અછત અને કામ બંધ થઇ જવા વિશે પૂછતાં તેમણે કહ્યું કે, ડીઝલના અભાવે વાહનો કામ પર ચડ્યાં નથી અને વાહનોના થપ્પા લાગી ગયા છે. આ વિકટ સ્થિતિમાં જો કોઇ વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય તો રોડ નિર્માણનું કામ વિલંબમાં પડે તેવી પૂરી શક્યતા છે.
ગુજરાત વિધાનસભાના સત્રમાં કચ્છ જિલ્લામાં ખાણ અને ખનિજ વિભાગ હસ્તક આવતા ડીસ્ટ્રીકટ મીનરલ ફાઉન્ડેશન ફંડમાંથી થયેલા કામો અંગે એક અત્યંત મહત્વની માહિતી સામે આવી છે. સરકાર દ્વારા વિધાનસભા ફ્લોર પર રજૂ કરાયેલા સત્તાવાર આંકડાઓ મુજબ, કચ્છ જિલ્લામાં DMF ફંડના કામોમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે ભ્રષ્ટાચાર થયો હોવાની એક પણ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી ! કાંકરેજના ધારાસભ્ય અમૃતજી મોતીજી ઠાકોર દ્વારા વિધાનસભામાં માનનીય મુખ્યમંત્રી (ખાણ અને ખનિજ વિભાગ) ને એક લેખિત પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેમાં તેમણે જાણવા માંગ્યું હતું કે, છેલ્લા બે વર્ષના સમયગાળામાં કચ્છ જિલ્લામાં ડીસ્ટ્રીકટ મીનરલ ફાઉન્ડેશન (DMF) અન્વયે થયેલા કામોમાં ગેરરીતિ થઈ હોવા અંગેની કેટલી ફરિયાદો મળી છે ?.આ સવાલના સત્તાવાર લેખિત પ્રત્યુત્તરમાં સરકાર દ્વારા કોષ્ટક રજૂ કરીને સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, સમીક્ષા હેઠળના આ છેલ્લા બે વર્ષના સમયગાળામાં કચ્છ જિલ્લામાં DMF ફંડ હેઠળ થયેલા કામોમાં ગેરરીતિની ‘શૂન્ય’ (એક પણ નહિ) ફરિયાદ સરકારને મળી છે. કાર્યવાહીનો કોઈ પ્રશ્ન જ નથી.
કામગીરી:વીજ તંત્રે એક જ દિવસમાં 3,791 વીજ કનેક્શન કાપ્યા, 2.27 કરોડની વસૂલાત
માર્ચ મહિનો પૂર્ણ થવાને આરે છે ત્યારે સરકારી વિભાગો બાકી લેણાં વસૂલવા માટે સક્રિય બન્યા છે. પશ્ચિમ કચ્છ વીજ વર્તુળ કચેરી (PGVCL) દ્વારા મંગળવારે બાકી વીજ બિલની વસૂલાત માટે આક્રમક ‘મેગા ડ્રાઈવ’ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં ભુજ, માંડવી અને નખત્રાણા ડિવિઝનની કુલ ૨૦૨ ટીમો જોડાઈ હતી. દિવસભર ચાલેલી આ ઝુંબેશ દરમિયાન, જે ગ્રાહકોના લાંબા સમયથી બિલ બાકી હતા તેવા ૩,૭૯૧ વીજ કનેક્શન સ્થળ પર જ કાપી નાખવામાં આવ્યા હતા. PGVCLની આ કડક કાર્યવાહીને પગલે વીજ ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. તંત્રની આ આકરી મશીનરીને કારણે સાંજ સુધીમાં કુલ રૂપિયા 2.27 કરોડ જેવી માતબર રકમની વસૂલાત કરવામાં સફળતા મળી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષના અંત સુધી આ ઝુંબેશ હજુ વધુ તેજ બનાવવામાં આવશે. જે ગ્રાહકોના બિલ બાકી છે તેમને વહેલી તકે ચુકવણી કરવા અપીલ કરવામાં આવી છે, અન્યથા વીજ કાપનો સામનો કરવો પડશે. 56% ગ્રાહકોએ અપનાવ્યું ઓનલાઈન પેમેન્ટએક તરફ બાકીદારો સામે લાલ આંખ કરવામાં આવી રહી છે, તો બીજી તરફ જાગૃત ગ્રાહકોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. આધુનિક યુગમાં લોકો હવે વીજ બિલ ભરવા માટે કચેરીએ ધક્કા ખાવાને બદલે ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. આ વર્ષના આંકડા મુજબ, પશ્ચિમ કચ્છમાં કુલ 56% ગ્રાહકોએ પોતાનું વીજ બિલ ઓનલાઈન માધ્યમથી ભર્યું છે. આ બાબતે પશ્ચિમ કચ્છ PGVCLના અધિક્ષક ઇજનેર તપન વોરાએ જણાવ્યું હતું કે, “લોકોમાં હવે ટેકનોલોજી પ્રત્યે જાગૃતિ આવી છે. ઓનલાઈન સેવાને કારણે હવે બિલ કલેક્શન વિન્ડો પર ભીડ નહિવત જોવા મળે છે. લોકો ઘરે બેઠા આસાનીથી પેમેન્ટ કરી રહ્યા છે, જે ગ્રાહક અને વિભાગ બંને માટે સમયની બચત છે.”
કચ્છમાં મહિલા સશક્તિકરણ:2 વર્ષમાં 33 હજારથી વધુ મિલકતો મહિલાના નામે
સરકાર દ્વારા મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે મિલકત ખરીદીમાં નોંધણી ફી માફીના લેવાયેલા નિર્ણયની અત્યંત હકારાત્મક અસર કચ્છ જિલ્લામાં જોવા મળી રહી છે. ગાંધીધામના ધારાસભ્ય માલતી કિશોર મહેશ્વરી દ્વારા વિધાનસભામાં પૂછવામાં આવેલા એક મહત્વપૂર્ણ પ્રશ્નના લેખિત જવાબમાં આ અંગેની પ્રોત્સાહક આંકડાકીય માહિતી સામે આવી છે. મુખ્યમંત્રી (મહેસૂલ) દ્વારા રજૂ કરાયેલા ડેટા મુજબ કચ્છમાં મહિલાઓના નામે મિલકત ખરીદવાનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. વિધાનસભામાં રજૂ કરાયેલા આંકડાઓ અનુસાર, તા. 31/12/2025 ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષના સમયગાળામાં કચ્છ જિલ્લામાં કુલ 1,06,455 (એક લાખ છ હજાર ચારસો પંચાવન) મિલકત વેચાણ દસ્તાવેજોની નોંધણી કરવામાં આવી છે. આ કુલ દસ્તાવેજો પૈકી, સરકારની મહિલા સશક્તિકરણની નીતિ અન્વયે મહિલાઓ દ્વારા ખરીદાયેલી મિલકતોના કુલ 33,843 (તેત્રીસ હજાર આઠસો ત્રેતાલીસ) વેચાણ દસ્તાવેજો નોંધાયા છે. આ આંકડો સ્પષ્ટ કરે છે કે કચ્છના પરિવારો હવે મિલકતોની ખરીદીમાં મહિલાઓને પ્રાધાન્ય આપી રહ્યા છે. મહિલાઓ દ્વારા ખરીદાયેલ આ મિલકતના વેચાણ દસ્તાવેજોમાં રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. 27,58,38,899/- (અંકે રૂપિયા સત્યાવીસ કરોડ અઠ્ઠાવન લાખ આડત્રીસ હજાર આઠસો નવ્વાણું પૂરા) ની માતબર નોંધણી ફી માફી આપવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી કચ્છની મહિલાઓને કરોડો રૂપિયાનો સીધો આર્થિક ફાયદો થયો છે.
રજૂઆત:110 કરોડનું ફંડ છતાં ભાડાએ વિકાસ દર લાગુ કર્યો
કચ્છનું મુખ્ય મથક ભુજ શહેર છેલ્લા થોડા વર્ષોમાં વિકાસની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. શહેરમાં રહેણાંક અને વ્યાવસાયિક બંને પ્રકારના બાંધકામોમાં નોંધપાત્ર વધારો થયો છે અને મોટા પ્રમાણમાં લોકો અહીં વસવાટ માટે આવી રહ્યા છે. આ વિકાસની ગતિ વચ્ચે હવે ભુજ વિસ્તાર વિકાસ સતામંડળ દ્વારા લેવામાં આવેલા એક નવા નિર્ણયને લઈને વિવાદ ઊભો થયો છે. ભુજ વિસ્તાર વિકાસ સતામંડળ (ભાડા) દ્વારા તા. 17 ફેબ્રુઆરીના રોજ જાહેર કરાયેલા હુકમ મુજબ હવે બાંધકામ વિકાસ પરવાનગી મેળવતી વખતે ‘વિકાસ દર’ (Development Charges) વસૂલવાનો નિર્ણય અમલમાં મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય તા. 18 નવેમ્બર,2025ની 42મી બોર્ડ બેઠકના ઠરાવ નં. 3ના આધારે લેવામાં આવ્યો હોવાનું પ્રાપ્ત પરિપત્રમાં જણાવાયું છે. દસ્તાવેજ મુજબ રહેણાંક, વાણિજ્ય અને ઔદ્યોગિક ઉપયોગ માટે અલગ-અલગ દર નક્કી કરવામાં આવ્યા છે, જે પ્રમાણે લોકો પાસેથી પ્રતિ ચોરસ મીટર વિકાસ ચાર્જ વસૂલવામાં આવશે. આ નિર્ણય સામે વિરોધ નોંધાવતા પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતાએ રાજ્યના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે ભાડા પાસે હાલ અંદાજે 110 કરોડથી વધુનું ભંડોળ ઉપલબ્ધ છે, જે સંસ્થાની કામગીરી માટે પૂરતું છે. આવી સ્થિતિમાં લોકો પર વધારાનો આર્થિક ભાર મૂકવો યોગ્ય નથી. તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યના અન્ય વિસ્તારોમાં આ પ્રકારનો વિકાસ દર વસૂલાતો નથી, જેથી ભુજમાં જ આ પ્રકારનો નિયમ લાગુ કરવો અસમાનતા ઉભી કરે છે. શહેરમાં પહેલાથી જ મોંઘવારી અને બાંધકામ ખર્ચ વધતો જઈ રહ્યો છે, ત્યારે આ નવા ચાર્જથી સામાન્ય નાગરિક અને બિલ્ડરો બંનેને આર્થિક અસર પડશે. ભુજની દરેક સમસ્યા માટે હંમેશા અધિકારીઓ અને નેતાઓ સમક્ષ ધારદાર રજૂઆત કરતા ભુજ ફેડરેશનના પ્રમુખ અનિલ ગોરે જણાવ્યું કે ભાડાની રચના બાદ બાંધકામની મંજૂરી સિવાય અન્ય વિકાસના કાર્યો કેટલા કર્યા અને તેની સામે તેમની પાસે નાણાકીય આવક અને બચત શું થઈ છે તે લોકો સમક્ષ રજૂ કરે તો ખ્યાલ આવે. વિકાસ દર લાગુ કરવાનો તઘલખી નિર્ણય લેવાની જરૂરિયાત નથી, તો આ ચાર્જ લગાવવો ન જ જોઈએ. માટે તાત્કાલિક અસરથી આ હુકમને સ્થગિત કરવાની માંગ કરવામાં આવી છે. ભુજમાં હાલ અનેક નવા પ્રોજેક્ટ્સ પ્રગતિમાં છે અને આગામી સમયમાં વધુ બાંધકામો થવાના છે. આવા સમયે વિકાસ દર વસૂલવાનો નિર્ણય વિકાસની ગતિને અસર કરી શકે છે કે કેમ તે અંગે પણ ચર્ચા ચાલી રહી છે. રહેણાંક બાંધકામ માટે રૂ.20 અને વાણિજ્ય બાંધકામ માટે રૂ.30 પ્રતિ મીટર વધારોભુજ વિસ્તાર વિકાસ સતામંડળ દ્વારા પરિપત્ર મુજબ બાંધકામ વિકાસ પરવાનગી વખતે વિકાસ દર નક્કી કરાયો છે. આ હુકમ અનુસાર રહેણાંક માટે પ્રતિ ચો.મી. ₹10 (ખુલ્લી જમીન) અને ₹20 (બાંધકામ ક્ષેત્ર), વાણિજ્ય માટે ₹15 અને ₹30, ઔદ્યોગિક માટે ₹12 અને ₹25 તેમજ અન્ય માટે ₹5 અને ₹15 દર નક્કી કરવામાં આવ્યા છે. આ દરો તા. 18/11/2025ની બોર્ડ બેઠકના ઠરાવ નં. 3ના આધારે અમલમાં મુકાયા છે. નવા આંકડાકીય દરથી ભુજમાં બાંધકામ ખર્ચમાં વધારો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
અકસ્માત:સિદ્ધપુર હાઈવે પર પૂરઝડપે આવતાં વાહને બાઈક ચાલકને ઉછાળતાં મોત
સિદ્ધપુર-વડગામ હાઈવે પર રામદેવ હોટલ પાસે વાહન ચાલકે સોમવારે સવારે બાઈક સવારને પાછળથી ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. વડગામ ખાતે રહેતાં ભરતભાઈ પોપટભાઈ ઓડ બાઈક લઈને સિદ્ધપુરથી ઘરે જઈ રહ્યા હતા.તે વખતે સવારે અંદાજે 7:30 કલાકે રામદેવ હોટલ નજીક હાઈવે પર અજાણ્યા વાહને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.અકસ્માતમાં ભરતભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા,જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.ઘટનાની જાણ થતાં પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. આ મામલે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ સિધ્ધપુર પોલીસ મથકે પાલનપુરનાં સોનબાગ વિસ્તારમાં રહેતા અશોકભાઈ પોપટભાઈએ ફરિયાદ નોંધાવી હતી.અકસ્માત બાદ ફરાર થયેલા વાહન ચાલકને પકડવા માટે હાઈવે પરનાં સીસીટીવી તેમજ અન્ય સૂત્રોના આધારે આરોપી વાહનચાલકને શોધવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
વસ્તી ગણતરી 2026:જિલ્લામાં હાઉસ લિસ્ટિંગ માટે 54 ફિલ્ડ ટ્રેનર સજ્જ, 3 દિવસની તાલીમ શરૂ
વસતી ગણતરી દર 10 વર્ષે હાથ ધરવામાં આવતી હોય છે. 2011માં છેલ્લે ગણતરી થતા જિલ્લામાં 17,56,268ની વસ્તી હતી. 2021માં વસ્તી ગણતરી થનાર હતી પરંતુ કોરોના કારણે વસ્તી ગણતરી પાછી ઠેલાઇ હતી. ત્યારે હવે વસ્તી ગણતરી થનાર છે. જેમાં 54 ફિલ્ડ ટ્રેનરોને માસ્ટર ટ્રેનર દ્વારા ત્રણ દિવસ તાલીમ અપાઇ હતી. આગામી વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની કામગીરીને વેગ આપવા વહીવટી તંત્રે તૈયારીઓ તેજ કરી છે. હાઉસ લિસ્ટિંગ (ઘરયાદી)ની મહત્વપૂર્ણ કામગીરી માટે પસંદ કરાયેલા 54 ફિલ્ડ ટ્રેનરોને ત્રણ દિવસની તાલીમ આપી હતી. હાઉસ લિસ્ટિંગ પ્રથમ તબક્કો હોવાથી તેનું ટેકનિકલ માર્ગદર્શન સુરેન્દ્રનગર ખાતે તાલીમમાં માસ્ટર ટ્રેનર્સ તરીકે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અમીનભાઇ ઘેસાણી અને ઇ.આ ભરત પ્રજાપતિએ સેવા આપી હતી. 3 દિવસ સુધી ચાલેલી આ તાલીમમાં કુલ 54 ફિલ્ડ ટ્રેનરોએ ભાગ લીધો હતો. વસ્તી ગણતરીના બે તબક્કામાં પ્રથમ તબક્કાનું મહત્વવસ્તી ગણતરીની પ્રક્રિયા બે તબક્કામાં થશે. આ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો એટલે ઘરયાદી અને હાઉસ સેન્સસ. જેમ તમામ રહેણાંક, બિન-રહેણાંક અને અર્ધ-રહેણાંક મકાનોની ઓળખ કરી તેને સૂચિબદ્ધ કરાશે જે તા.21 એપ્રિલથી 19 મે સુધી પ્રથમ તબક્કો હાથ ધરાશે. જેથી બીજા તબક્કામાં વ્યક્તિગત ગણતરી ચોકસાઈપૂર્વક થઈ શકે. ફિલ્ડ ટ્રેનરો તરીકે, તમારી જવાબદારી ગણતરીદારોને ટેકનિકલ અને વ્યવહારુ તાલીમ આપીને ક્ષેત્ર સ્તરે ડેટાની ગુણવત્તા સુનિશ્ચિત કરવાની છે.જ્યારે બીજો તબક્કો 27 ફેબ્રુઆરીથી હાથ ધરશે. આ રીતે કરાશે હાઉસ લિસ્ટિંગ હાઉસ લિસ્ટિંગ દરમિયાન ફિલ્ડ ટ્રેનરોએ ત્રણ મુખ્ય સ્તંભોની સમજ આપી 1. લેઆઉટ મેપ અને મકાનોનું નંબરિંગ : દરેક ગણતરી બ્લોક માટે નકશો તૈયાર કરવો, ગણતરીદારે પોતાના વિસ્તારની સીમાઓ ઓળખી, કાચો નકશો અને લેઆઉટ મેપ તૈયાર કરશે. નંબરિંગ પદ્ધતિ: મકાનોને ઉત્તર-પશ્ચિમ ખૂણેથી શરૂ કરીને વ્યવસ્થિત ક્રમમાં નંબર આપવાની પદ્ધતિ સમજાવવી. જ્યારે 2 મોબાઈલ એપ અને ડિજિટલ ડેટા એન્ટ્રી: ગણતરી ડિજિટલ હોવાથી સેન્સસ પોર્ટલ અને એપ: ગણતરીદારોને મોબાઈલ એપમાં લોગિન, ડેટા સિંક્રોનાઈઝેશન અને ઓફલાઈન મોડમાં કામ કરવાની પદ્ધતિ શીખવી. ચોક્સાઈ: મકાનનો પ્રકાર (પાકું, કાચું). જ્યારે 3. ક્ષેત્ર સ્તરે પડકારો અને સંવાદ કૌશલ્ય: લોકો પાસેથી સાચી માહિતી મેળવવી એ કળા છે.લોકસંપર્ક: ફિલ્ડ સ્ટાફે નમ્રતાપૂર્વક વાત કરવી અને ગોપનીયતાના કાયદા વિશે સમજ આપવી. દેખરેખ: સુપરવાઈઝર અને ફિલ્ડ ટ્રેનરે સમયાંતરે ડેટાનું ક્રોસ-વેરિફિકેશન કરવું જેથી કોઈ ઘર છૂટી ન જાય.
સુરેન્દ્રનગર મહાનગર પાલિકાની ચૂંટણીનો બુંગીયો વાગી ચૂક્યો છે. સંયુકત પાલિકામાં ભાજપનો 52માંથી 50 બેઠક ઉપર વિજય થયો હતો. આમ સંયુકત પાલિકામાં ભાજપની બોડીની એક હથ્થુ સત્તા હતા.પરંતુ મનપાની ચૂંટણીમાં આપ પણ તમામ 13 વોર્ડમાં પેનલ બનાવીને પોતાના ઉમેદવારો ઉભા રાખશે. જે પૈકી 12 ઉમેદવારના નામ જાહેર કરાયા છે. સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જ જંગ હતો. આપે પોતાના 5 ઉમેદવારો ઉભાર્યા હતા. વર્તમાન સમયે આપે મનપાની ચૂંટણી માટે 12 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. જેમાં વોર્ડ નં. 1માં ભરગીયા મકાભાઇ અને ઉદેશા ગીતાબેન, વોર્ડ નં. 2માં બ્રીજરાજસિંહ ચુડાસમા, વોર્ડ નં. 3માં દિપકભાઇ ચીહલા અને અલ્પાબેન વ્યાસ જ્યારે વોર્ડ નં. 4માં ભાવિનભાઇ મર્યા અને શારદાબેન ભુસડીયા, વોર્ડ નં. 8માં થરેસા દક્ષાબેન, વોર્ડ નં. 9માં અતુલ વેગડ, ગૌતમ શિહોરા, વોર્ડ નં. 11માં કાંતિભાઇ રાઠોડ. વર્તમાન શહેર આપ પ્રમુખ કમલેશભાઇ કોટેચા વોર્ડ નં. 9 કે 10માંથી લડશે. વોર્ડ નં. 4ના આપના ઉમેદવાર ભાવીનભાઇ પહેલા ભાજપમાં હતા અને વોર્ડના સંયોજક તરીકેની જવાબદારી નિભાવતા હતા.ભાજપ અને કોંગ્રેસ પક્ષમાં હજુ ઉમેદવારોના નામની જાહેરાતને લઇને ખાસ કોઇ ગતિવિધિ ચાલતી નથી. પરંતુ અંદરખાને ટિકિટ લેવા ઉમેદવારો દોડધામ કરતા થઇ ગયા છે. આ ત્રિપાખીયા જંગમાં ભાજપની પેનલ તૂટી શકે છેસામાન્ય રીતે વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લામાં 3 બેઠક ઉપર આપના ઉમેદવાર બીજા નંબરે રહ્યા હતા. ત્યારે મનપાની ચૂંટણી લોકલ મુદ્દાઓ ઉપર લડાતી હોય છે. આપના ઉમેદવારો ઘણા સમયથી ખાસ કરીને પ્રજાની સમસ્યા માટે લડત ચલાવી રહ્યા છે. હાલ જે ઉમેદવારો જાહેર કર્યા છે તે શિક્ષિત અને તેમના વોર્ડમાં જાણીતા છે. બીજી બાજુ કોંગ્રેસના કમિટમેન્ટ વાળા મત દરેક વોર્ડમાં છે. જેથી મતદારો પોતાની જ્ઞાતિના ઉમેદવારને મત આપવાનું પસંદ કરે તો આપના ઉમેદવારો પણ સારા મત લઇ જઇ શકે છે. ભલે કદાચ આપના ઉમેદવાર વિજેતા ન થઇ શકે પરંતુ ભાજપની પેનલ તોડવામાં સફળ રહી શકે છે.
યુદ્ધની અસર ખેતરો સુધી પહોંચી:ખેડૂત દીઠ 200 લીટર ડિઝલથી ખેતરોમાં હલર બંધ પડશે
યુદ્ધની સ્થિતિમાં ઇંઘણની અછતની અફવાને પગલે સોમવારે સુરેન્દ્રનગરમાં સામાન્ય દિવસમાં થતું પેટ્રોલ-ડિઝલનો 3000થી 5000 લીટર થતું વેચાણ 12 હજારથી રૂ.15 હજાર લીટર પહોંચી ગયું હતું. તેવામાં સરકારે ખેડૂતોને 200 લીટર ડિઝલ આપવાની જાહેરાત કરતાં 50 વીઘાથી વધુ ખેતી ધરાવતાં મોટા ખેડૂતો અને ટ્રેક્ટરથી ભાડે કામ કરતાં લોકો મુશ્કેલી પડશે. ડિઝલના અભાવે વર્તમાન સમયે અનેક હલર બંધ પડ્યા છે. સરકારે ખેડૂતને 200 લીટર,ટેલીફોન અને મોબાઇલ કંપનીને 1000 લીટર જયારે સામાન્ય વાહનમાં માત્ર ટાંકીમાં જ ડિઝલ કે પેટ્રોલ ભરી આપવુ અન્ય કોઇ પાત્રમાં ડિઝલ નહી ભરી આપવાનો પરીપત્ર કર્યો છે. જિલ્લામાં 203918 ખેડૂતો છે. ચણાં અને ઘઉં કાઢવાની સિઝન પુરજોશમાં ચાલી રહી છે. ઉનાળામાં ખેડૂતો ખાસ કરીને ખેતરને હળતા હોય છે.એક મહિનો સુધી ખેતરને તપવા દઇને પછી દાતી મારીને વાવેતર માટે ચાસ નાખતા હોય છે.હવે ખરા સમયે જ જો પુરતુ ડિઝલ નહી મળે તો ખેડૂતો ખેતર ખેડી ન શકે તેવી સ્થિતી ઉભી થઇ છે. એક એકર જમીન ખેડવા માટે ઓછામાં ઓછુ 20 લીટર ડિઝલની જરૂર પડે છે.જિલ્લાના ઘણા ખેડૂતોએ ડિઝલનો સ્ટોક કરી લીધો છે.પરંતુ જે ખેડૂતોને ડિઝલની વપરાશ વધુ છે. અમારે ડિઝલ ખૂટી જતાં 3 ટ્રેકટર પેટ્રોલ પંપે મુકીને આવવુ પડયુ ખેતરોમાં હાલ ચણાં વાઢવાની કામગીરી ચાલુ છે. હલરમાં ડિઝલ ખલાસ થઇ ગયુ હતુ. હલરવાળા પાસે ડિઝલ ન હતુ.અમારે કામ પડતુ મુકીને પરત આવવાની સ્થિતી ઉભી થઇ હતી.આવા સમયે ગામના 3 ટ્રેકટર વાળા પાસેથી ડિઝલ ઉછીનું લીધુ અને તે ડિઝલ હલરમાં નાખીને ચણાનો પાક કાઢવો પડયો હતો. > સુખદેવભાઇ કરશનભાઇ રામાણી (ચાચકાના ખેડૂત) ચણાંની ખેતી સમયે હલરમાં ડિઝલ ખૂટતાં 3 ટ્રેકટરમાંથી કાઢીને ભર્યુ સોમવારે 3 ટ્રેક્ટર અને પીપડા લઇને પાણશીલાથી લીંબડી ડિઝલ ભરાવવા ગયા હતા. ટ્રેક્ટરમાં પણ ડિઝલ ઓછું અને પંપ ઉપર સ્ટોક પૂરો થઇ જતા ઘરે પહોંચાય તેમ ન હતુ. આથી ટ્રેકટર પેટ્રોલ પંપ ઉપર જ મુકીને આવી ગયા. હવે ડિઝલ આવે અને તે ડિઝલ ટ્રેકટરમાં નાખીએ તો જ અમારા ટ્રેકટર ઘરે પહોચે તેમ છે. અછતના લીધે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. > મુકુંદભાઇ કરશનભાઇ ગોલાણી (પાણશીણાના ખેડૂત) ખેડૂતને કેટલા સમય પછી ફરી જથ્થો આપવો તેની હાલ સૂચના નહીં- એ.જી.ગજજર (પુરવઠા અધિકારી) સવાલ-ખેડૂતોને કેટલુ ડિઝલ આપવાનો પરીપત્ર છે? જવાબ-ખેડૂતોને 200 લીટર ડિઝલ આપવાનો હાલ પરીપત્ર કરાયો છે. સવાલ-ખેડૂતને કેટલા દિવસે ડિઝલ મળશે? જવાબ-કેટલા દિવસે ડિઝલ આપવુ તેની કોઇ સુચના મળી નથીસવાલ-ખેડૂત છે તેની ખરાઇ કેવી રીતે કરવામાં આવશે?જવાબ-આ કામ એજન્ટોએજ કરવાનું તેના માટે 7-12 અને 8 અ ના દાખલા સાથે રાખવા પડશે
હાશકારો:પેટ્રોલ પંપો ઉપર લાઈનો ઘટી, સમયસરસપ્લાય મળી જતાં સ્થિતિ સામાન્ય બની
જિલ્લામાં કુલ 141 પેટ્રોલ પંપોમાંથી 131 પંપોમાં મંગળવારે સાંજે 16.99 લાખ લીટર ડીઝલ અને 11.18 લાખ લીટર પેટ્રોલ ઉપલબ્ધ હોવાનું પુરવઠા તંત્રએ જણાવ્યું હતું. જોકે નાયરા કંપનીના 10 પંપોમાં પેટ્રોલ-ડીઝલ ખૂટી પડ્યું છે.અને જામનગર ઓઇલ ડેપોથી જથ્થો મંગાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જે બુધવાર સુધી પહોંચી જવાની શક્યતા દર્શાવવામાં આવી છે. પાટણ જિલ્લામાં સોમવારે બપોર બાદ પેટ્રોલ-ડીઝલની અછત અંગે ફેલાયેલી અફવાએ પેટ્રોલ પંપ સુધી વાહન ચાલકોને દોડતા કર્યા હતા શહેરથી લઈને હાઈવે સુધી લોકો પેટ્રોલ પંપો પર ઉમટી પડતાં મોડી રાત સુધી લાંબી લાઈનો લાગી ગઈ હતી. વાહનચાલકોએ ટાંકી ફૂલ કરાવતાં અનેક પંપો પર પેટ્રોલ ખૂટી પડતાં સ્ટોક ખાલી થઈ જતા મંગળવારે હાઈવે વિસ્તારો પર અનેક પેટ્રોલ પંપ બંધ હાલતમાં જોવા મળ્યા હતા.જેમાં સમી અને રાધનપુર તરફના હાઈવે પંપો પર પેટ્રોલ ખૂટી પડતાં મંગળવારે ગામડાંના લોકોને છેક હારિજ સુધી પેટ્રોલ ભરાવવા જવું પડ્યું હતું. કુણઘેર પાસેના નાયરા પેટ્રોલ પંપ પર બપોરે જ પેટ્રોલનો જથ્થો સમાપ્ત થઈ ગયો હતો, જ્યારે ડીઝલનું વેચાણ પણ રૂ.1000ની મર્યાદામાં જ કરવામાં આવ્યું હતું. પૂરતા પ્રમાણમાં સ્ટોક સપ્લાય એસોસિએશન પેટ્રોલ પંપ એસોસિએશનના સભ્યે જણાવ્યું હતું કે ખોટી અફવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. આયુષ IOCL , BPCL અને HPCL કંપનીઓ પૂરતો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો સપ્લાય કરી રહી છે. જિલ્લામાં હાલમાં કોઈપણ જગ્યાએ અછત જેવું નથી. દરેકને અપીલ છે કે પૂરતો ડીઝલ અને પેટ્રોલનો પંપો ઉપર સ્ટોક ઉપલબ્ધ છે ગમે ત્યારે મળી રહેશે.અફવામાં આવી દોડધામ કરવું નહીં.
ભાસ્કર એનાલિસિસ:પાટણ નગરપાલિકાની પ્રાથમિક મતદારયાદીમાં 1.08 મતદારો,9326 નો ઘટાડો
પાટણ નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીઓ તૈયારીઓ શરૂ થઈ છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી પૂર્વે નવી વર્ષ 2026ની પ્રાથમિક મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં SRI (સ્ટેચ્યુટરી રિવિઝન ઓફ ઇન્વેન્ટરી) ની સઘન કામગીરી બાદ જાહેર થયેલા આંકડા મુજબ, પાટણમાં કુલ મતદારોની સંખ્યામાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. પાંચ વર્ષ પહેલાં જે 1.18 લાખ મતદાર હતો હતો, તે હવે ઘટીને 1.08 લાખ પર પહોંચ્યો છે. ખાસ કરીને મૃતક, સ્થળાંતરિત અને ડુપ્લીકેટ મતો દૂર કરવામાં આવતા 9326 મતદારો ઘટ્યા છે. વોર્ડ વિસ્તારમાં કુલ 1,08,999 નવા મતદારો રહ્યા છે.જેમાં પુરુષ મતદારોનું વર્ચસ્વ વચ્ચે આ મતદાર યાદીમાં ત્રીજી જાતિ પણ નોંધાયા છે. પાલિકામાં જઈ નામ ચકાસી શકાશે તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરાયેલી આ યાદી હાલ પ્રાથમિક તબક્કે છે. જો કોઈ નાગરિકનું નામ રહી ગયું હોય કે સુધારાની જરૂર હોય, તો આગામી દિવસોમાં ફોર્મ ફરી નિયત પ્રક્રિયા મુજબ સુધારો કરાવી શકાશે. વોર્ડ વાઈઝ યાદી નગરપાલિકા કચેરી અને નિયત સ્થળોએ ચકાસણી માટે ઉપલબ્ધ રહેશે. 27 માર્ચ સુધારા માટે ફોર્મ ભરવા માટે અંતિમ દિવસ છે.
LPG બુકિંગના નિયમોમાં ફેરફાર:એક કનેક્શનમાં 2 બોટલ ધરાવતા ગ્રાહકોનું હવે 35 દિવસે બુકિંગ
સરકાર દ્વારા રાંધણ ગેસના વિતરણને વધુ સુવ્યવસ્થિત કરવા માટે રિફિલ બુકિંગના નિયમોમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે, જે મુજબ હવે ગ્રાહકોએ એક સિલિન્ડર લીધા બાદ બીજું સિલિન્ડર બુક કરાવવા માટે નિર્ધારિત દિવસોની ફરજિયાત રાહ જોવી પડશે. નવા નિયમમાં શહેરી સામાન્ય ગ્રાહકો જે સિંગલ કેનેક્શનમાં બે બોટલ ધરાવે છે તેઓ હવે 35 દિવસે જ બુકિંગ કરાવી શકાશે. નવા નિયમો અનુસાર, ઉજ્જવલા યોજનાના ગ્રાહકો માટે 14.2kg ના સિલિન્ડર માટે 45 દિવસ અને 5kg ના સિલિન્ડર માટે 16 દિવસનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે Non-PMUY (સામાન્ય) સિંગલ બોટલ ધરાવતા ગ્રાહકો માટે 14.2kg માટે 25 દિવસ, 5kg માટે 9 દિવસ અને 10kg ના સિલિન્ડર માટે 18 દિવસનો સમય નક્કી થયો છે. તેવી જ રીતે, Non-PMUY (સામાન્ય) ડબલ બોટલ કનેક્શન ધરાવતા ગ્રાહકો માટે 14.2kg ના રિફિલ માટે 35 દિવસ, 5kg માટે 12 દિવસ અને 10kg ના સિલિન્ડર માટે 25 દિવસ બાદ જ નવું બુકિંગ થઈ શકશે. આ નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય ગેસની અછતને રોકવાનો અને સંગ્રહખોરી પર નિયંત્રણ લાવવાનો છે, જેથી દરેક જરૂરિયાતમંદ ગ્રાહકને સમયસર રાંધણ ગેસ ઉપલબ્ધ થઈ શકે. હવે તમામ ગેસ એજન્સીઓ આ નવા સોફ્ટવેર અપડેટ મુજબ જ બુકિંગ સ્વીકારશે, જેની સીધી અસર લાખો ગ્રાહકોના માસિક બજેટ અને વપરાશ પર પડશે. ઉલ્લેખનીય છે કે કચ્છના 80 ટકા ગ્રાહકો બે ગેસ સીલીન્ડર ધરાવે છે. હવે તેમને એક સીલીન્ડર મેળવ્યા બાદ બીજું સીલીન્ડર હવે 35 દિવસે જ મળશે. આ વ્યવસ્થા પાછળ સરકારનો ઉદેશ્ય LPG ગેસની અછતને પહોચી વળવા માટેનો છે. તાજેતરમાં જ સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારમાં 45 દિવસ અને શહેરી વિસ્તાર માટે 25 દિવસમાં બુકીંગના નિયમો જારી કર્યા હતા.
ભાસ્કર એનાલિસીસ:કચ્છ જિલ્લામાં સંગ્રહ શક્તિ સામે 37% ડીઝલ અને 34% પેટ્રોલનો જથ્થો હાલમાં ઉપલબ્ધ
કચ્છ સહિત રાજ્યમાં સોમવારે ઇંધણની અછતને લઈને ફેલાયેલી અફવાઓને પગલે કચ્છના પેટ્રોલ પંપો પર ભારે ઘસારો જોવા મળ્યો હતો. જોકે વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા આંકડા મુજબ જિલ્લામાં સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. કચ્છ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની કુલ સંગ્રહ શક્તિ 1,95,78,000 લિટર (આશરે 1.95 કરોડ લિટર) છે, જેની સામે 24 માર્ચના રોજ જિલ્લામાં કુલ પેટ્રોલ અને ડીઝલ 71,57,000 લિટર (આશરે 71.57 લાખ લિટર) જથ્થો પંપો પર ઉપલબ્ધ છે. જેમાં ડીઝલની કુલ 1.38 કરોડ લિટરની ક્ષમતા સામે 51.85 લાખ લિટર (37.34%) સ્ટોક હાજર છે. જયારે પેટ્રોલની કુલ 57.78 લાખ લિટરની ક્ષમતા સામે 19.72 લાખ લિટર (34.13%) સ્ટોક હાજર છે. ખાનગી કંપનીઓ જેવી કે નેયરા અને શેલ પાસે તેમની ક્ષમતાના 50% થી વધુ સ્ટોક ઉપલબ્ધ છે. સોમવારની સરખામણીએ મંગળવારે પંપો પર લાગેલી વાહનોની લાંબી કતારોમાં થોડો ઘટાડો નોંધાયો છે, જિલ્લાના કુલ 346 પેટ્રોલ પંપો પર સરેરાશ 35 ટકા જેટલો સ્ટોક હોવાથી અછત જેવી કોઈ ગંભીર સ્થિતિ નથી. કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને તથા પશ્ચિમ કચ્છ એસ.પી વિકાસ સુંડાની ઉપસ્થિતિમાં કચ્છ જિલ્લામાં આવેલ તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે પેટ્રોલ અને ડીઝલના જથ્થાની ઉપલબ્ધતા અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં કચ્છમાં તમામ પેટ્રોલ પંપ પર હાલ પૂરતી માત્રામાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે, પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી, તેથી નાગરિકોને અફવાઓથી દૂર રહેવા ક્લેકટર દ્વારા અપીલ કરવામાં આવી હતી. ખેડૂતો હવે 200 લિટર સુધી ડીઝલનો સંગ્રહ કરી શકશેખેતીકામ અને ટેલિકોમ સેવાને અવરોધ ન આવે તે હેતુથી સરકાર દ્વારા ઇંધણ મેળવવાની મર્યાદામાં નવી જોગવાઈ જાહેર કરાઈ છે. ખેતીકામ, ટ્રેક્ટર અને પંપસેટ માટે ડીઝલની જરૂરિયાતને ધ્યાને રાખીને ખેડૂતોને હવે ખુલ્લા પાત્ર કે બેરલમાં ઈંધણ મેળવવાની છૂટ અપાઈ છે. કોઈપણ એક ખેડૂત વધુમાં વધુ 200 લિટર સુધી જથ્થો મેળવી શકશે. આ માટે ખેડૂતે ખરાઈ કરાવવાની રહેશે. અફવામાં આવીને ખરીદી ટાળોકચ્છમાં હાલ જરૂરીયાત પુરતું ઇંધણ છે, લોકો જરૂરિયાત મુજબ પુરાવે તે હિતાવહ છે. એકસાથે બધા લોકો પંપ પર ઉમટી પડવાને કારણે સ્ટોક ખાલી થવાની ભીતિ રહે છે, કંપનીઓ દ્વારા નિયમિત રીતે સપ્લાય ચાલુ રાખવામાં આવી રહ્યો છે. કોઈ પણ પંપ ‘ડ્રાય’ ન હોવાથી ગભરાવાની જરૂર નથી. કલેકટરના નામે પંપ સંચાલકોની મનમાની નહીં ચાલેકચ્છના મોટાભાગના પેટ્રોલપંપ સંચાલકોએ પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર નિયંત્રણ મૂકી દીધું છે. બાઈકમાં 200, કારમાં 1000 અને મોટો વાહનોમાં 2 હજારનું જ ઇંધણ અપાઈ રહ્યું છે. જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી થઈ રહી છે. પંપ સંચાલકો એવું બહાનું કાઢી રહ્યા છે કે, કલેકટરનો આદેશ હોવાથી વધુ ઇંધણ અપાતું નથી. જોકે આ બાબતે જિલ્લા કલેક્ટર આનંદ પટેલને પૂછતાં જણાવ્યું કે આવો કોઈ આદેશ અમારી કક્ષાએથી કરાયો નથી. લોકોની જરૂરીયાત મુજબ ઇંધણ આપવું જોઈએ. સરકારના નિયમ મુજબ ખુલ્લા ડબ્બા કે બેરલમાં ઇંધણ આપવાનું નથી. ક્રોસચેક કરીને આવા પંપ પર તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ ઉમેર્યું હતું.
નિરીક્ષણ:વાંધા-સૂચન હોય તો 26 માર્ચ સુધી રજૂ કરી શકાશે, 30 માર્ચ બાદ અંતિમ નિર્ણય
મહેસાણા મહાનગરપાલિકાની જાહેર કરાયેલી પ્રાથમિક મતદાર યાદી સંબંધિત વોર્ડ અને કચેરીઓમાં નિરીક્ષણ માટે મુકવામાં આવી છે, જ્યાં મતદારો પોતાના વોર્ડમાં તેમનું નામ છે કે નહીં તે ચકાસી શકે છે. મહાનગરપાલિકાની વેબસાઇટ Mahesanacity.in પરથી મતદાર યાદી ડાઉનલોડ કરી શકાશે. સંપૂર્ણ મતદાર યાદી આશરે 8,000 પેજની અને લગભગ 700 MB સાઇઝની હોવાથી તેને ડાઉનલોડ કરવામાં સમય લાગી શકે છે. મતદારોને જો કોઈ વાંધા કે સૂચનો હોય તો તેઓ 26મી તારીખ સુધી રજૂ કરી શકશે. ત્યાર બાદ 30 માર્ચ પછી અંતિમ નિર્ણય લેવામાં આવશે. અહીં મતદાર યાદી જોવા મળશે વોર્ડ-1 રાધનપુર વોર્ડ, દ્વારકાપુરી ફ્લેટ સામે વોર્ડ-2 ગોપીનાળા વોર્ડ, મગપરા પાસે વોર્ડ-3 બિલાડીબાગ વોર્ડ, બિલાડી બાગ વોર્ડ-4 તાવડીયા ગ્રામ પંચાયત ઓફિસ વોર્ડ-5 પરા વોર્ડ, પરા સ્મશાન પાસે વોર્ડ-6 પટવાપોળ વોર્ડ, આઝાદ ચોક વોર્ડ-7 મ્યુનિ. ઝોનલ ઓફિસ, રાધનપુર રોડ વોર્ડ-8 માલ ગોડાઉન વોર્ડ, પ્રશાંત સિનેમા પાસે વોર્ડ-9 નાગલપુર વોર્ડ, વાળીનાથ ચોક વોર્ડ-10 નાગલપુર કસ્બા તલાટી ઓફિસ વોર્ડ-11 સિવિક સેન્ટર ઓફિસ, ટી.બી. રોડ વોર્ડ-12 સ્ટેશન વોર્ડ, અરવિંદ બાગ પાસે વોર્ડ-13 સાર્વજનિક પુસ્તકાલય, પરા વોર્ડ-14 મામલતદાર કચેરી, મહેસાણા વોર્ડ-15 પ્રાંત કચેરી, મહેસાણા
હાલાકી:પાલનપુરમાં સીટીલાઈટ,દિલ્હીગેટ, સિવિલ વિસ્તારમાં ગંદકીની સમસ્યા
પાલનપુરમાં જાહેર રસ્તાઓ પર ડસ્ટબિનના અભાવે ગંદકીનો પ્રશ્ન ગંભીર બનતો જઈ રહ્યો છે. સીટીલાઈટ રોડ, દિલ્હીગેટ, સિવિલ વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં લોકો મજબૂરીમાં રસ્તા પર જ કચરો ફેંકતા હોવાથી ઠેર-ઠેર કચરાના ઢગલા જોવા મળે છે. સ્થાનિકોનું કહેવું છે કે મુખ્ય રસ્તાઓ પર દર 50-100 મીટરે ડસ્ટબિન મુકવામાં આવે અને નિયમિત સફાઈ થાય તો શહેરમાં વધતી ગંદકીની સમસ્યાનો મોટાભાગે અંત આવી શકે તેમ છે. પાલનપુરની મુખ્ય બજાર તથા જાહેર રસ્તાઓ પર ડસ્ટબિનના અભાવે ગંદકીનો પ્રશ્ન ગંભીર બનતો જઈ રહ્યો છે. સીટીલાઈટ રોડ, દિલ્હીગેટથી માનસરોવર રોડ, સિવિલ વિસ્તાર, કોઝી રોડ, બેચરપુરા રોડ, માલણ દરવાજા સાઈડ રોડ અને ઢૂંઢિયાવાડી રોડ સહિત અનેક વિસ્તારોમાં લોકો મજબૂરીમાં રસ્તા પર જ કચરો ફેંકતા હોવાથી ઠેર-ઠેર કચરાના ઢગલા જોવા મળે છે. બજારમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવતા હોવાથી ફળ-શાકભાજી, કરિયાણા સહિત દુકાનોમાંથી નીકળતો કચરો ગટર અથવા રસ્તા પર ફેંકાતો હોવાથી દુર્ગંધ ફેલાય છે અને ગટર જામ થવાની સમસ્યા પણ ઊભી થાય છે. સ્થાનિક રવિ સોની, મનોજ ઉપાધ્યાય અને જશવંતસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, અગાઉ મુકાયેલી કેટલીક કચરાપેટીઓ તોડી નાખી હતી અને જવાબદાર લોકો સામે કાર્યવાહી પણ થઈ નથી. તેમનું કહેવું છે કે, શહેરના મુખ્ય રસ્તાઓ પર દર 50-100 મીટરે ડસ્ટબિન મુકવામાં આવે, જાહેર બગીચા, નાસ્તાની લારીઓ અને કોમ્પલેક્ષ આગળ મોટા ડસ્ટબિન રાખવામાં આવે તથા નિયમિત સફાઈ થાય તો ગંદકીની સમસ્યા દૂર થઈ શકે. તેઓએ તંત્રને યોગ્ય વ્યવસ્થા કર્યા બાદ નિયમોનો ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.
ભાસ્કર એનાલિસિસ:પાલનપુર નગરપાલિકાની પ્રાથમિક મતદાર યાદીમાં 97992 મતદારો,16662નો ઘટાડો
પાલનપુર નગરપાલિકાની આવનારી ચૂંટણી માટે પ્રાથમિક મતદાર યાદી જાહેર થતા મતદારોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો સામે આવ્યો છે. 2021ની ચૂંટણીમાં કુલ 1,14,654 મતદારો હતા, જે સામે હાલની સુધારેલી પ્રાથમિક યાદીમાં 97,992 મતદારો નોંધાયા છે. એટલે કે કુલ 16,662 મતદારો ઓછા થયા છે. ગત ચૂંટણીમાં પુરુષ મતદારો 59,457 અને મહિલા મતદારો 55,197 હતા, જ્યારે હાલની યાદીમાં પુરુષ 51,556 અને મહિલા 46,436 નોંધાયા છે. બંને કેટેગરીમાં ઘટાડો નોંધાયો છે, જેમાં મહિલા મતદારોમાં ઘટાડો થોડો વધુ છે. વોર્ડવાર જોતા લગભગ તમામ વોર્ડમાં મતદારોની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે. વોર્ડ નં.1માં 1,914 મતદારો ઘટ્યા છે, વોર્ડ નં.2માં 1,578નો ઘટાડો નોંધાયો છે. વોર્ડ નં.3માં 1,856 અને વોર્ડ નં.4માં 1,609 મતદારો ઓછા થયા છે. વોર્ડ નં.5માં 1478, વોર્ડ નં.6માં 2,146 અને 7માં 2,711 જેટલો ઘટાડો નોંધાયો છે. વોર્ડ નં.8માં માત્ર 1 મતદારનો ઘટાડો થયો છે, જે સૌથી ઓછો છે. જ્યારે વોર્ડ નં.11માં 1,041 મતદારો ઘટ્યા છે. કુલ મળીને તમામ વોર્ડમાં ઘટાડાનો સ્પષ્ટ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, કુલ મળીને, આ ઘટાડો ચૂંટણીના ટર્નઆઉટ અને પરિણામ બંને પર અસરકારક સાબિત થઈ શકે છે.
ભાસ્કર એક્સક્લુસિવ:યુનિ.માં 22 જગ્યા માટે 645એ સ્ક્રિનિંગ ટેસ્ટ આપી
કચ્છ યુનિવર્સિટી દ્વારા ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફની ભરતી પ્રક્રિયા વેગવંતી બનાવાઈ છે. ગત 8 માર્ચ 2024ના પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાત અન્વયે તાજેતરમાં બિન-શૈક્ષણિક કેડરની 22 જગ્યા માટે ઉમેદવારોની સ્ક્રિનિંગ ટેસ્ટ યોજવામાં આવી હતી. સત્તાવાર માહિતી અનુસાર, વિવિધ 22 જગ્યા માટે કુલ 1372 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 645 ઉમેદવારોએ સ્ક્રિનિંગ ટેસ્ટ આપી હતી. ઉમેદવારોને પરીક્ષા બાદ બીજી OMR શીટ અને પ્રશ્નપત્ર સાથે લઈ જવાની છૂટ અપાઈ હતી. યુનિવર્સિટીની વેબસાઇટ પર પ્રોવિઝનલ આન્સર-કી મૂકી દેવાઇ છે. જો કોઈ ઉમેદવારને આન્સર કી સામે વાંધો હોય, તો તેઓ નિયત નમૂનામાં ઓનલાઈન સૂચનો મોકલી શકે છે. વાંધા સૂચનોના નિરાકરણ બાદ આખરી આન્સર-કી જાહેર કરવામાં આવશે. ત્યારબાદ, આગામી 12 એપ્રિલના સંભવત ફાઈનલ પરીક્ષા યોજવાનું આયોજન છે. આ પરીક્ષાના મેરિટના આધારે લાયક ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કચ્છ યુનિવર્સિટીની અગાઉની ભરતીમાં વિવાદ થયો હતો અને સરકારે ભરતી રદ કરી હતી. હાલ આ મુદ્દો કોર્ટ કેસમાં છે. ભરતી વિવાદના કારણે કચ્છ યુનિવર્સિટી ભારે ચર્ચામાં આવી હતી.જેથી આ ભરતીમાં યુનિવર્સિટી પ્રશાસન દ્વારા દૂધનો દાઝેલો છાશ ફૂંકીને પીવે તેમ પારદર્શિતા જાળવવામાં આવી રહી છે. કરવામાં આવશે. ત્યારબાદ, આગામી 12 એપ્રિલના સંભવત ફાઈનલ પરીક્ષા યોજવાનું આયોજન છે. આ પરીક્ષાના મેરિટના આધારે લાયક ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કચ્છ યુનિવર્સિટીની અગાઉની ભરતીમાં વિવાદ થયો હતો અને સરકારે ભરતી રદ કરી હતી. હાલ આ મુદ્દો કોર્ટ કેસમાં છે. ભરતી વિવાદના કારણે કચ્છ યુનિવર્સિટી ભારે ચર્ચામાં આવી હતી.જેથી આ ભરતીમાં યુનિવર્સિટી પ્રશાસન દ્વારા દૂધનો દાઝેલો છાશ ફૂંકીને પીવે તેમ પારદર્શિતા જાળવવામાં આવી રહી છે. વિવિધ પોસ્ટ મુજબ ઉમેદવારની સંખ્યા પોસ્ટ જગ્યા ફોર્મ હાજર સિનિયર ક્લાર્ક 7 175 89 જુનિયર ક્લાર્ક 10 846 427 પર્સનલ આસી. 2 246 81 લેબ આસિ. 2 64 30 સી. સુપરવાઇઝર 1 41 18 38 શૈક્ષણિક જગ્યા માટે 28 માર્ચ સુધી ઈન્ટરવ્યુ પ્રક્રિયા ચાલશેકચ્છ યુનિ.માં શૈક્ષણિક સ્ટાફની ભરતી પ્રક્રિયા તેજ બની છે. ગત 8 માર્ચ 2024ના પ્રસિદ્ધ કરાયેલી જાહેરાત મુજબ યુનિ.ના વિવિધ 17 વિભાગોમાં ખાલી પડેલી જગ્યા ભરવા હાલ ઈન્ટરવ્યુનો દોર ચાલી રહ્યો છે. પ્રોફેસરની 5, એસોસિયેટ પ્રોફેસરની 2 અને આસિસ્ટન્ટ પ્રોફેસરની 31 મળી કુલ 38 જગ્યા માટે ઓનલાઈન અરજી મંગાવાઈ હતી. જોકે, આશ્ચર્યજનક રીતે 4 જગ્યા સામે એકપણ ફોર્મ ભરાયા નથી. 34 જગ્યા માટે જે ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભર્યા હતા તેઓને ઈ-મેલ દ્વારા કોલ લેટર મોકલી રૂબરૂ ઇન્ટરવ્યુ માટે બોલાવાયા છે. ઈન્ટરવ્યુ પ્રક્રિયામાં સરકારના પ્રતિનિધિ, જે તે વિભાગના વડા અને વિષય નિષ્ણાતોની બનેલી પેનલ દ્વારા વન-ટુ-વન ઈન્ટરવ્યુ લેવામાં આવી રહ્યા છે. સમગ્ર પ્રક્રિયા 28 માર્ચ સુધી ચાલશે અને ત્યાં સુધી પસંદગી પામેલા ઉમેદવારોના નામ સીલબંધ કવરમાં રાખવામાં આવશે. 28 માર્ચ બાદ મળનારી બોર્ડ બેઠકમાં કવર ખોલીને અંતિમ નિમણૂકની મહોર મારવામાં આવશે તેવું સતાવાર રીતે જાણવા મળ્યું છે. જોકે, બીજી તરફ યુનિવર્સિટીના અતરંગ વર્તુળોમાં હાલ વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે કચ્છના શિક્ષણ જગતના જાણકારોનું માનવું છે કે, અગાઉની ભરતીમાં થયેલા વિવાદોને ધ્યાને રાખીને આ વખતે માત્ર લાયક અને મેરિટ ધરાવતા ઉમેદવારોને જ સ્થાન મળે તે જરૂરી છે. ભલામણો અને સગા-વહાલાવાદને તિલાંજલિ આપીને શૈક્ષણિક નિમણૂકો કરાશે તો જ વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણનો લાભ મળી શકશે.
કામગીરી:બાળકો સાથે મહિલા ટ્રેન સામે પડતું મૂકે તે પહેલાં જ બચાવાઇ
લીમખેડા રેલવે સ્ટેશન પર જ્યારે એક લાચાર માતા પોતાના બે માસૂમ બાળકો સાથે જીવન ટૂંકાવવા ટ્રેક પર ઉભી હતી, ત્યારે મોત અને જિંદગી વચ્ચે માત્ર ગણતરીની મિનિટોનું અંતર હતું પરંતુ પીપલોદ જનરક્ષક સેવા 112ની ટીમે સમયસૂચકતા વાપરી આ આત્મઘાતી કદમને નિષ્ફળ બનાવી એક હૃદયસ્પર્શી બચાવ કામગીરી કરી છે. લીમખેડા તાલુકાના પટવાણ ગામની 37 વર્ષીય વનિતાબેન ઘરેલુ કંકાસથી કંટાળી માનસિક તાણમાં આવી બે નાના બાળકો સાથે લીમખેડા રેલવે સ્ટેશનના ટ્રેક પર પહોંચી ગયા હતા. ટ્રેક પર ઉભેલી આ મહિલા અને બાળકોને જોઈ રેલવે સ્ટાફના રમેશભાઈ બારિયાના જીવ અધ્ધર થઈ ગયા. તેમણે જરાય વિલંબ કર્યા વગર ઇમર્જન્સી કોલ કર્યો હતો. કોલ મળતા જ પીપલોદ PCRની ટીમ જાણે કોઈ ફિલ્મી રેસ્ક્યુ ઓપરેશનની જેમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ટીમ લીડર હેડ કોન્સ્ટેબલ મનોજ મુનિયા અને સાથીદારો ડ્રાઈવર ભાવસિંગભાઈ અને ઇન્ચાર્જ મનોજભાઈએ અત્યંત કુશળતાથી મહિલાને સમજાવી અને ટ્રેન આવે તે પહેલાં જ ત્રણે જીવને સુરક્ષિત રીતે ટ્રેક પરથી બહાર ખેંચી લેવામાં આવ્યા હતા. વનિતાબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પતિ સાથેના વિવાદને કારણે હું ખૂબ જ ટેન્શનમાં હતી, એટલે આ પગલું ભરવા આવી હતી. મહિલાના ભાણિયા ઉમેશભાઈનો સંપર્ક કરી તેમને સ્થળ પર બોલાવ્યા. પ્રોફેશનલ કાઉન્સેલિંગ બાદ માતા અને બંને બાળકોને સુરક્ષિત રીતે પરિવારને સોંપવામાં આવ્યા હતા.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:દોઢ દિવસમાં 300થી વધુ ઇલેક્ટ્રિક વાહનનાં બુકિંગ, ઇન્કવાયરી વધી
શહેરમાં પેટ્રોલની મારામારી વચ્ચે ઇલેક્ટ્રિક વાહનના બુકિંગ, ઇન્કવાયરી જાણવા માટે ‘દિવ્ય ભાસ્કર’એ દસેક ડીલરને ત્યાં તપાસ કરી સ્થિતિ જાણવા પ્રયાસ કર્યો હતો, જેમાંથી સાતનો સંપર્ક થયો હતો. આ ડીલરો પાસેથી જાણવા મળ્યું હતું કે, પેટ્રોલની અછત-અફવા વચ્ચે ઈવીની ઇન્કવાયરી વધી છે. રોજ પચીસેક ઇન્કવાયરી આવતી હતી, જે વધીને 100ની આસપાસ થઈ ગઈ છે. પંચવટી, ગોતા, બોપલ, નરોડા, સીટીએમ અને શાહીબાગ સહિતના વિસ્તારોમાં ઇલેક્ટ્રિક વાહનના ડીલરોને ત્યાં બુકિંગ-ઇન્કવાયરી વધી છે. જે ડીલરને ત્યાં રોજના 15 ઇલેક્ટ્રિક ટુવ્હીલર બુક થતાં હતાં ત્યાં સરેરાશ 45થી 50 ઈવીનું બુકિંગ થયું છે. ઈવી ફોરવ્હીલરની પણ ઇન્કવાયરી વધી છે. એક ડીલરને ત્યાં રોજના 10 ઈવી ફોરવ્હીલર બુક થતાં હતાં, પણ આ બે દિવસમાં 15થી 20 બુકિંગ થયાં હતાં. આ સાતેય ડીલરના ત્યાં દોઢ દિવસમાં 300થી વધુ ઈવી બુક થયાં છે. પેટ્રોલ વ્હીકલનું બુકિંગ રદ કરી ઈવી બુક કરાવ્યુંસીટીએમના એક ડીલરને ત્યાં એક વ્યક્તિએ આવીને ઈવી બુક કરાવ્યું હતું. તેણે થોડા સમય પહેલાં જ પેટ્રોલ વ્હીકલ બુક કરાવ્યું હતું, પરંતુ બે દિવસની સ્થિતિ જોઈ તેણે તે બુકિંગ રદ કરાવીને ઈવી બુક કરાવ્યું હતું. ઈન્કવાયરીમાં 200%નો વધારો વિગત અગાઉની સ્થિતિ છેલ્લા 2 દિવસ કુલ બુકિંગ (7 ડીલર) 100 વાહન 300થી વધુ ટુવ્હીલર બુકિંગ 15 વાહન રોજ 50થી વધુ/રોજ ફોરવ્હીલર બુકિંગ 10 વાહન રોજ 15થી20 રોજ ઇન્ક્વાયરી (પૂછપરછ) સામાન્ય 200%નો વધારો એક વેપારી રોકડ લઈ આવ્યો, કહ્યું- મને અત્યારે જ EV આપોસીટીએમના ઇલેક્ટ્રિક વાહનના શોરૂમમાં બુકિંગ વધવાના કારણે નવેસરથી ઇલેક્ટ્રિક વાહનો ગોડાઉનમાંથી મગાવવાં પડ્યાં છે. એક ડીલરને ત્યાં એક ધંધાદારી વ્યક્તિ વાહનની કિંમતના રોકડા લઈને આવી હતી. એણે ડીલરને કહ્યું કે, ‘મને અત્યારે જ નવું વાહન આપી દો.’ એક વ્યક્તિએ તો પેટ્રોલ વ્હીકલનું બુકિંગ રદ કરાવી ઈવી બુક કરાવ્યું હતું.
શિવરંજની ચાર રસ્તા પર આવેલા જાણીતા એ. બી. જ્વેલર્સ સાથે ઠગાઈનો બનાવ બન્યો છે. જ્વેલર્સના સંચાલકોએ રખિયાલની ગુજરાત બુલિયન રિફાયનરી લિ.ને કુલ 81,296 ગ્રામ જૂની ચાંદી શુદ્ધ કરવા આપી હતી. જે બાદ કંપનીના ડિરેક્ટરોએ 71,986 ગ્રામ શુદ્ધ ચાંદી પરત આપવાની જગ્યાએ માત્ર 38,836 ગ્રામ જ ચાંદી પરત આપી હતી. કંપનીના ડિરેક્ટરોએ 34 લાખની મતાની 33,132 ગ્રામ શુદ્ધ ચાંદી પરત ન આપીને ઠગાઇ આચરી હતી. આરોપીઓએ આપેલા ચેક પણ રિટર્ન થતાં આખરે એ.બી. જ્વેલર્સના શોરૂમ મેનેજરે આ મામલે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવતા સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જૂની ચાંદી શુદ્ધ કરવા માટે જથ્થો આપ્યો હતોન્યૂ રાણીપમાં રહેતા મયૂરભાઇ બારોટ શિવરંજની ક્રોસ રોડ ખાતેના એ.બી.જ્વેલર્સમાં શોરૂમ મેનેજર તરીકે નોકરી કરે છે. શોરૂમમાં જે ગ્રાહકો જુના ચાંદીના દાગીનાનું વેચાણ કરે તે દાગીના ખરીદવામાં આવે છે અને બાદમાં તેને ઓગાળીને ચાંદીને શુદ્ધ કરાવીને વેચાણ કરવામાં આવે છે. એ.બી. જ્વેલર્સ દ્વારા રખિયાલની ગુજરાત બુલિયન રિફાયનરી લિ.ને જૂની ચાંદી શુદ્ધ કરવા માટે જથ્થો આપવામાં આવે છે. કંપનીએ 38,836 ગ્રામ ચાંદી જ પરત આપી હતીએ.બી. જ્વેલર્સે આ કંપનીને ગત તા.11 ડિસેમ્બરે 81,296 ગ્રામ જૂની ચાંદી શુદ્ધ કરવા આપી હતી. જે ચાંદી શુદ્ધ કર્યા બાદ 71,986 ગ્રામ ચાંદી પરત લેવાની હતી. કંપનીએ 38,836 ગ્રામ ચાંદી જ પરત આપી હતી. 34 લાખની મતાની 33,132 ગ્રામ શુદ્ધ ચાંદી પરત ન આપી. જેથી કંપનીના ડિરેક્ટરોને વાત કરતા તે લોકોએ બાંયધરી આપીને બાદમાં વાયદા કરીને બહાના બતાવ્યા હતા. ગુજરાત બુલિયન રિફાયનરીના ડિરેક્ટર સામે ફરિયાદલાંબા સમય બાદ પણ આરોપીઓએ ચાંદી પરત ન આપીને માત્ર ચેક આપ્યા હતા. જે ચેક પણ રિટર્ન થતાં આખરે એ બી જ્વેલર્સના શોરૂમ મેનેજરે આ મામલે રખિયાલની ગુજરાત બુલિયન રિફાયનરી લિ.ના ડિરેક્ટર નિતીન કંસારા, તેના પુત્ર જય કંસારા અને દિલીપ પટેલ સહિતના લોકો સામે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
શહેરના સારંગપુર વિસ્તારમાં સુમેલ-1 કોમ્પલેક્ષના સી બ્લોકમાં ત્રીજા માળે ઇલેક્ટ્રીક ડકમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. આગ લાગવાના કારણે ધૂમાડાના ગોટેગોટા કોમ્પલેક્ષમાં ફેલાઈ ગયા હતા. આખા બ્લોકના લોકો દોડીને બહાર આવી ગયા હતા. જોકે ત્રીજા માળે ચાર વ્યક્તિઓ ફસાતા ફાયરબ્રિગ્રેડે દ્વારા હાઇડ્રોલિક સિડીથી રેસ્ક્યુ કરીને સહી સલામત બહાર કાઢ્યા હતા. ફાયરની ટીમે ઈલેક્ટ્રીક સપ્લાય બંધ કરી ડકમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. સુમેલ-1માં સી બ્લોકમાં ત્રીજા માળે બિલ્ડીંગના ઇલેક્ટ્રીક ડકમાં આગમળતી માહિતી મુજબ સારંગપુર ન્યૂ ક્લોથ માર્કેટની પાછળ આવેલ સુમેલ-1માં સી બ્લોકમાં ત્રીજા માળે બિલ્ડીંગના ઇલેક્ટ્રીક ડકમાં આવેલા વાયરોમાં આગ ફેલાતા ગ્રાઉન્ડ ફ્લોરથી ત્રીજા માળ સુધી ધૂમાડા પ્રસર્યા હતા. ધૂમાડા બહાર સુધી જોવા મળ્યા હતા જેને પગલે વેપારીઓ બહાર દોડી આવ્યા હતા. જોકે ત્રીજા માળ પર બે વેપારી અને બે મજૂર ધૂમાડામાં ફસાઇ ગયા હતા. ફાયરબ્રિગ્રેડને જાણ કરતા ફાયરની 5 ગાડીઓએ ઘટના સ્થળે પહોચીને ચાર તરફથી પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ઉપર ફસાયેલા અમીતભાઇ મલાણી, સંદિપભાઇ હસનાણી, લાલાભાઇ અને એક અજાણ્યા વ્યક્તિને હાઇડ્રોલિક સિડીથી રેસ્ક્યુ કરીને સહિસલામત બહાર કાઢ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે આગ પર સંપૂર્ણ કાબૂ લીધો હતો. જોકે, શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
અમદાવાદમાં વાનહ ચેકિંગ અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ રોંગ સાઈડ આવતા વાહનો સામે ડ્રાઈવની મોટી વાતો શહેર પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ દિન પ્રતિદિન રોંગ સાઇડમાં વાહન ચલાવવા અને દારૂ પીને વાહન ચલાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વસ્ત્રાપુરમાં શહીદ ચોક પાસે દારૂના નશામાં રોંગ સાઈડમાં કાર ચલાવી અકસ્માતની ઘટના સામે આવી છે. રોંગ સાઈડમાં વાહન હંકારીને બે જેટલી કારને ટક્કર મારી હતી. જેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો. જેના પગલે સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને કારચાલકને ઝડપી પાડ્યો હતો. કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. સવારના સમયે બનેલી આ ઘટનાને લઈ દારૂ પીને વાહન ચલાવનારા તેમજ રોંગ સાઈડમાં વાહન ચલાવનારા લોકો સામે કાર્યવાહીના દાવા પોકળ સાબિત થયા છે. રોંગ સાઇડમાં આવતા કારચાલકે બે કારને અડફેટે લીધીશહેરના ન્યુ વાસણા વિસ્તારમાં સ્વામિનારાયણ પાર્કમાં રહેતા નિરવભાઈ ઠક્કર વહેલી સવારે પોતાની વેગેનાર ગાડી જે ટેક્સી તરીકે ચલાવે છે તેને લઈને પેસેન્જરને લેવા માટે વસ્ત્રાપુર પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે શહીદ ચોક પાસે રોંગ સાઈડમાં એક બલેનો ગાડી આવતી હતી. કારચાલકે નિરવભાઈની ગાડીને આગળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. ત્યાર બાદ તેમની પાછળ આવતી બીજી એક ગાડીને પણ સામેથી ટક્કર મારી દીધી હતી, જેથી ગાડી રોકાઈ ગઈ હતી. આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને કારચાલકને બહાર કાઢ્યો હતો. પોલીસે કારચાલક સામે ગુનો નોંધ્યોકારચાલકે રોંગ સાઈડમાં આવી અને અકસ્માત કર્યો હતો, જેથી લોકોએ કારચાલકને પકડી રાખ્યો હતો અને તેને તપાસતા નશાની હાલતમાં હતો. જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી અને આ બાબતે તપાસ કરતા કારચાલકનું નામ ગજેન્દ્ર પાટીદાર (રહે સુખ-શાંતિ અપાર્ટમેન્ટ, ચાંગોદર) હોવાનું જણાવ્યું હતું. આરોપી નશાની હાલતમાં હતો જેથી પોલીસ દ્વારા આ સમગ્ર મામલે નિરવભાઈની ફરિયાદ લઈને દારૂ પીધેલા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડની તજવીજ કરી હતી.
માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં પ્રકાશમાં આવી છે. રક્ષક જ ભક્ષક બન્યો હોય તેમ, એક પાખંડી સાવકા પિતાએ પોતાની જ બે સગીર વયની દીકરીઓ સાથે વારંવાર દુષ્કર્મ આચરી તેમને ગર્ભવતી બનાવી હોવાની ચોંકાવનારી વિગતો પોલીસ ફરિયાદમાં સામે આવી છે. પેટના દુખાવાએ ખોલ્યો પાપનો ઘડોઆ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે શ્રમિક પરિવારની નાની દીકરીને અચાનક પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. માતા-પિતા તેને સારવાર માટે કુકેરી પી.એચ.સી. ખાતે લઈ ગયા હતા. ત્યાં તબીબી તપાસ દરમિયાન ડોક્ટરે દીકરી ગર્ભવતી હોવાની શંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ ખારેલની હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવતા નિષ્ણાતોએ પુષ્ટિ કરી કે સગીરાને *પાંચ માસનો ગર્ભ* છે. આ સાંભળીને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બંને દીકરીઓને હવસનો શિકાર બનાવીહોસ્પિટલમાં માતાએ જ્યારે નાની દીકરીની આકરી પૂછપરછ કરી, ત્યારે તેણે રડતા રડતા તેના સાવકા પિતા અનિલ અમૃતભાઈ રાઠોડની કરતૂતો વિશે જણાવ્યું. આઘાતમાં સરેલી માતાએ તુરંત પોતાની બહેનને ફોન કર્યો, ત્યારે જાણવા મળ્યું કે મોટી દીકરી પણ રડી રહી છે. મોટી દીકરીની તપાસ કરાવતા તે પણ બે માસની ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. આરોપી પિતા બંને દીકરીઓને જંગલમાં લાકડા લેવા જવાના બહાને અને રાત્રે ઘરમાં સૌ સૂઈ જાય ત્યારે પરાણે શારીરિક સંબંધ બાંધતો હતો. ધમકી આપીને ચૂપ રાખતો હતોસગીરાઓએ પોતાની આપવીતીમાં જણાવ્યું કે, પિતા તેમને ધમકાવતો હતો કે, જો તમે આ વાત કોઈને કહેશો, તો હું તમને અને તમારી મમ્મીને જમવાનું આપીશ નહીં અને ભૂખ્યા રાખીશ. આ ડરને કારણે માસૂમ દીકરીઓ લાંબા સમય સુધી આ નરક જેવી યાતના સહન કરતી રહી. પોલીસે આરોપીની ધરપકડ કરીસગીરાઓની માતાના નિવેદનને આધારે ચિખલી પોલીસે આરોપી અનિલભાઈ અમૃતભાઈ રાઠોડ વિરુદ્ધ POCSO એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની ગુના સંબંધિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ ઘટનાએ સમગ્ર નવસારી જિલ્લામાં ભારે રોષ અને ચકચાર જગાવી છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 24 માર્ચથી ચાર દિવસ સુધી ગુજરાત પ્રવાસે છે, ત્યારે અરવિંદ કેજરીવાલે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચતા ઇસુદાન ગઢવી સહિતના નેતાઓ દ્વારા અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેજરીવાલે PM મોદી અને કેન્દ્ર સરકાર પર નિશાન તાકતા કહ્યું હતું કે, કેન્દ્ર સરકારની નબળી વિદેશ નીતિને કારણે પેટ્રોલ અને ડીઝલ તેમજ ગેસની સપ્લાયમાં તકલીફ પડી રહી છે. યુદ્ધના એક દિવસ પહેલા મોદીએ ઇઝરાયેલ જવાની શું જરૂર હતી. ટ્રમ્પની ગુલામી કરવાની શું જરૂર હતી. ઈરાન સાથે દુશ્મની ન કરી હોત તો આજે દેશમાં પેટ્રોલ અને ડીઝલની તકલીફનો સામનો કરવો ન પડ્યો હોત. આ ઉપરાંત આગામી સ્થાનિક સ્વરાજ તેમજ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 'આખા દેશને ટ્રમ્પના કદમોમાં રાખવાની શું જરૂર હતી'અરવિંદ કેજરીવાલે પેટ્રોલ-ડીઝલ મામલે નિવેદન આપાત જણાવ્યું હતું કે, ગુજરાતના પેટ્રોલ પંપ ઉપર લાંબી લાઈનો લાગી છે. પ્રધાનમંત્રીએ જ કહ્યું કે, આવનારા દિવસો ચિંતાજનક છે. પીએમ મોદીએ યુદ્ધના એક દિવસ પહેલાં ઇઝરાયેલ જવાની શું જરૂર હતી. આખા દેશને ટ્રમ્પના કદમોમાં રાખવાની શું જરૂર હતી. ઇરાન સાથે દુશ્મની કરવાની શું જરૂર હતી. આજે ભારતનું એકપણ જહાજ ત્યાંથી ગેસ કે, પેટ્રોલ લઈને નીકળી શકતું નથી. પીએમ મોદીએ ન્યુટ્રલ સ્ટેન્ડ રાખ્યું હોત તો આજે પેટ્રોલ અને ડીઝલ માટે આ પરિસ્થિતિ ન હોત. આગામી દિવસોમાં સરકાર આમ આદમી પાર્ટીની બનશેકેજરીવાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ કહ્યું હતું કે, આગામી દિવસોમાં સરકાર પણ આમ આદમી પાર્ટીની બનવા જઈ રહી છે. તેમજ બે વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી આવવાની છે, ત્યારે સરકાર આમ આદમી પાર્ટીની હશે. 'ગુજરાતના ખેડૂતોની સમસ્યા દૂર કરવામાં આવશે'પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, પંજાબમાં અગાઉ અન્ય પક્ષની સરકાર હતી, ત્યારે ખેડૂતો સહિતના લોકો પરેશાન હતા, પરંતુ હવે ત્યાં ખેડૂતો ખૂબ જ ખુશ છે. ગુજરાતમાં પણ આ રીતે ખેડૂતોની સમસ્યા દૂર કરવામાં આવશે અને આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ઝંડો લહેરાશે.
BREAKING: RR બાદ RCB 16,706 હજાર કરોડમાં વેચાઈ, IPLના ઈતિહાસની સૌથી મોંઘી ફ્રેન્ચાઈઝી બની
Royal Challengers Bangalore Sold: IPLની સૌથી ચર્ચિત ટીમોમાંની એક અને ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) હવે નવા માલિકોના હાથમાં ગઈ છે. આદિત્ય બિરલા ગ્રુપ, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ગ્રુપ, બોલ્ટ વેન્ચર્સ અને બ્લેકસ્ટોને મળીને આ ટીમને અંદાજે 1.78 બિલિયન ડોલર (આશરે 16,706 કરોડ રૂપિયા)માં ખરીદી લીધી છે. આ ડીલ આજે 24 માર્ચ મંગળવારે ફાઈનલ થઈ છે. ખાસ વાત એ છે કે, RCBની આ ડીલ પહેલા રાજસ્થાન રોયલ્સને પણ અમેરિકન બિઝનેસમેન કાલ સોમાનીએ અંદાજે 15 હજાર કરોડમાં ખરીદી છે. આમ, એક જ દિવસમાં IPLની બે મોટી ટીમોની માલિકી બદલાઈ ગઈ છે.
દેશનું સૌથી સ્વચ્છ શહેર ગણાતું સુરત અત્યારે ધુમાડાના ગોટેગોટા અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપોથી ઘેરાયેલું છે. સુરત મહાનગરપાલિકાના ખજોદ ડમ્પિંગ સાઈટ પર લાગેલી ભીષણ આગ હવે માત્ર પર્યાવરણીય મુદ્દો નથી રહી, પરંતુ તે કરોડો રૂપિયાના 'કચરા કૌભાંડ' તરફ આંગળી ચીંધી રહી છે. પૂર્વ કોર્પોરેટર વિજય પાનશેરીયાએ કરેલા સ્ફોટક ખુલાસાઓએ પાલિકાના વહીવટ અને શાસકોની ઊંઘ ઉડાડી દીધી છે. ડમ્પિંગ સાઈટ પર મિથેન ગેસને કારણે આગ લાગતી હોય છેતાજેતરમાં ખજોદ ડમ્પિંગ સાઈટ પર લાગેલી આગે આસપાસના રહેણાંક વિસ્તારોમાં ફાળકો પેદા કર્યો છે. પૂર્વ કોર્પોરેટર વિજય પાનશેરીયાએ સ્થળ મુલાકાત લીધા બાદ જે તારણો રજૂ કર્યા છે તે ચોંકાવનારા છે. સામાન્ય રીતે ડમ્પિંગ સાઈટ પર મિથેન ગેસને કારણે 'લેગસી વેસ્ટ' (જૂના કચરા) માં આગ લાગતી હોય છે, પરંતુ આ વખતે આગના લક્ષણો અલગ છે. '213 કરોડના ભ્રષ્ટાચારના પુરાવાઓ બાળવા આગ લગાડવામાં આવી'વિજય પાનશેરીયાના જણાવ્યા મુજબ, આગ માત્ર વર્ષો જૂના કચરામાં જ નહીં, પરંતુ દરરોજ ઠલવાતા તાજા કચરામાં પણ જોવા મળી છે. જ્યાં વૈજ્ઞાનિક ઢબે કચરાના નિકાલ માટેના પ્લાન્ટ્સ છે, ત્યાંથી જ આગ શરૂ થઈ અને જોતજોતામાં ચારેય બાજુ ફેલાઈ ગઈ. આ ઘટનાક્રમ સૂચવે છે કે આ આગ કુદરતી રીતે નથી લાગી, પરંતુ 213 કરોડના ભ્રષ્ટાચારના પુરાવાઓ બાળવા માટે લગાડવામાં આવી હોય તેવું જણાય છે. 30 લાખ મેટ્રિક ટન કરોડોનો કોન્ટ્રાક્ટસુરત મહાનગરપાલિકાએ ખજોદ ખાતે વર્ષોથી એકઠા થયેલા 30 લાખ મેટ્રિક ટન 'લેગસી વેસ્ટ' ના નિકાલ માટે 213 કરોડ રૂપિયાનો માતબર કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ કોન્ટ્રાક્ટ ત્રણ વર્ષની સમયમર્યાદા માટે હતો. '16 લાખ ટન કચરો ક્યાં ગયો?'ત્રણ વર્ષમાં 30 લાખ મેટ્રિક ટન કચરો સાફ કરવાનો હતો, પરંતુ હકીકતમાં માત્ર 14 લાખ ટન જ નિકાલ કરવામાં આવ્યો છે. બાકીનો 16 લાખ ટન કચરો ક્યાં ગયો? કામ અધૂરું હોવા છતાં કોન્ટ્રાક્ટરને મોટા પાયે પેમેન્ટ કરી દેવામાં આવ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જ્યારે કોન્ટ્રાક્ટર નિયત સમયમાં કામ પૂરું કરવામાં નિષ્ફળ રહ્યો, ત્યારે તેને દંડ કરવા કે બ્લેકલિસ્ટ કરવાને બદલે તેને વારંવાર મુદત વધારી આપીને કોના ઈશારે બચાવવામાં આવી રહ્યો છે? કચરાના નિકાલ બાબતે ખોટા આંકડાઓ મોકલ્યાનો આક્ષેપસુરત શહેરને 2023થી 2025 દરમિયાન સતત સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોચના ક્રમો મળ્યા છે. પરંતુ ખજોદની સ્થિતિ જોતા આ એવોર્ડ્સની વિશ્વસનીયતા સામે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે. વિજય પાનશેરીયાનો આરોપ છે કે સુરત મહાનગરપાલિકાએ કેન્દ્ર સરકારને કચરાના નિકાલ બાબતે ખોટા આંકડાઓ મોકલ્યા છે. જો શહેરમાં 100% સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ થતું હોત, તો ખજોદ ખાતે કચરાના આટલા મોટા પહાડો અને વારંવાર લાગતી આગની ઘટનાઓ ન બનત. આ એક ગંભીર બાબત છે કે શું એવોર્ડ મેળવવા માટે કેન્દ્ર સરકારને અંધારામાં રાખવામાં આવી રહી છે? કોને બચાવવા માટે રિપોર્ટ દબાવી રાખવામાં આવ્યો છે?થોડા સમય પહેલા ખજોદના કચરાને વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવાને બદલે પાછલા બારણે દૂરના ગામડાઓમાં ફેંકી દેવાનું કૌભાંડ સામે આવ્યું હતું. આ બાબતે હોબાળો થતા SMCએ એક તપાસ સમિતિની રચના કરી હતી. પરંતુ, મહિનાઓ વીતી ગયા હોવા છતાં તે તપાસ સમિતિનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી. કોને બચાવવા માટે રિપોર્ટ દબાવી રાખવામાં આવ્યો છે? શું આ આગ તે તપાસ સમિતિના રિપોર્ટમાં રહેલા તથ્યોને જમીનદોસ્ત કરવા માટે લગાડવામાં આવી છે? કચરામાં અચાનક આગ લાગ હતીસુરત શહેરની ખજોદ ડિસ્પોઝલ સાઈટ પર આજે બપોરે આર.ડી.એફ. કચરામાં અચાનક આગ લાગવાની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમો કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. 8 ગાડીઓ દ્વારા સતત પાણીનો છંટકાવ કરીને આગ બુઝાવાઈબપોરે આશરે 1:15 વાગ્યે આગ લાગ્યાના અહેવાલ મળતા જ ફાયર બ્રિગેડની 8 ગાડીઓ દ્વારા સતત પાણીનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો હતો. આગની તીવ્રતાને જોતા અત્યાર સુધીમાં 32 જેટલા ફેરા દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, 6 જેસીબી અને 8 પોકલેન મશીનોની મદદથી કચરાનું ટર્નિંગ કરી, ફાયર લાઈન બનાવી તેમજ માટી કવરિંગ જેવી કામગીરી કરવામાં આવી રહી છે. ઝડપી અને સંકલિત પ્રયાસોને કારણે હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ લાવવા પ્રયાસો ચાલુ છે.આગનું સંભવિત કારણ પ્રાથમિક તપાસ મુજબ, ઉનાળાના વધતા તાપમાન, મિથેન ગેસનું ઉત્સર્જન અને જ્વલનશીલ RDF સામગ્રીને કારણે કચરાના ઢગલામાં આંતરિક ગરમી વધતા આ આગ લાગી હોવાની શક્યતા છે. મ્યુનિસિપલ કમિશનર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહી સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા આવી ઘટનાઓ ફરી ન બને તે માટે નીચે મુજબના કડક પગલાં લેવાની જાહેરાત કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં ચોરી, લૂંટ સહિતના ગુનાને અંજામ આપનાર ગુજસીટોકનો મુખ્ય સૂત્રધાર બોડીયાને રૂરલ એલસીબીની ટીમે પાલીતાણા પંથકના અંતરિયાળ વિસ્તારમાં ખેતમજુરોનો સ્વાંગ રચી ટ્રકટર અને ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી દબોચી લઈ કાર્યવાહી કરી હતી. ગેંગ લીડર સામે અગાઉ 45 ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા વિસ્તારમાં ગુનાખોરીને નાબુદ કરવા અને અવાર નવાર ગુના કરતા હોય તેવા શખ્સો વિરુધ્ધ સખ્તાઇથી કડક હાથે કાર્યવાહી કરવાની આપેલ સુચનાથી વિંછીયા પોલીસ મથકમાં પૂર્વ આયોજીત કાવતરૂ કરી કુખ્યાત તસ્કરની આગેવાની હેઠળ સંગઠીત ગુના આચરતી ટોળકી બનાવી છેલ્લા દસ વર્ષમાં સૌરાષ્ટ્ર વિસ્તારના રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, જામનગર, ગીર સોમનાથ, દેવભુમિ દ્વારકા, અમદાવાદ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં ચોરી, શરીર સબંધી ગંભીર પ્રકારના ગુના આચરતી ટોળકીના 19 શખ્સો સામે એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરા તથા સ્ટાફના માણસો દ્વારા આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ વિરૂધ્ધ છેલ્લા દસ વર્ષમાં નોંધાયેલ ગુનાની માહિતી મેળવી તેનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરી જરૂરી દસ્તાવેજો એકત્રીત કરી ગુજસીટોક એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો. જેમાં અગાઉ 11 આરોપીઓને અટક કરવામાં આવેલ હતા. આ ગુનાનો મુખ્ય આરોપી (ગેંગ લીડર) રણજીત ઉર્ફે બોડીયો ઉર્ફે રણીયો રામજી પરમાર (રહે.પાલીતાણા, ભાવનગર) ફરાર હોય તેને પકડી પાડવા એલસીબીની ટીમે ખેત મજુરોનો સ્વાંગ રચ્યો હતો. જે દરમિયાન ટ્રેક્ટર અને ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી મુખ્ય આરોપી (ગેંગ લીડર) રણજીત ઉર્ફે બોડીયો ઉર્ફે રણીયોને અંતરીયાળ ડુંગરાળ સીમ વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો. તેને આ ગુનામાં ધોરણસર અટક કરી મુદ્દત હરોળ કોર્ટમાં રજુ કરી આરોપીના પોલીસ કસ્ટડીના રીમાંડની માગણી કરતા કોર્ટ દ્વારા આરોપીના 7 દિવસના રીમાંડ મંજુર કરવામાં આવ્યા છે.વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ આ ગેંગનો મુખ્ય સૂત્રધાર રણજીત ઉર્ફે બોડિયો વિરુદ્ધ કુલ 45 ગુના નોંધાયેલ છે જેમાં લૂંટ, દુષ્કર્મ, ચોરી સહિતના અનેક ગંભીર પ્રકારના ગુના નોંધાયેલ છે. તેમજ 19 શખ્સોની ગેંગે 92 થી વધુ ગુનાને અંજામ આપેલ હોવાનું સામે આવ્યું હતુ. મુસાફરોના ખિસ્સામાંથી માલમતા સેરવી લેતી રીક્ષા ગેંગની ત્રિપુટી ઝડપાઈ શહેરમાં રીક્ષા ગેંગનો તરખાટ યથાવત રહ્યો છે. મુસાફરોને રિક્ષામાં બેસાડી ઉલટી-ઉબકાના બહાને ખિસ્સામાંથી રોકડ સહીતની મતા સેરવી લેતી રિક્ષા ગેંગની ત્રિપુટીને આજીડેમ પોલીસે પકડી પાડી રૂ.28,500 ની રોકડ રિકવર કરી હતી. મુખ્ય સૂત્રધાર રામ ઉર્ફે લાલો બચુ લાકડીયા(ઉ.વ.22), સંજય વિઠ્ઠલ પરમાર (ઉ.વ.20) અને શૈલેશ જીવા ભરવાડીયા (ઉ.વ.35)ની ધરપકડ કરી રોકડ રૂ. 28,500 અને રિક્ષા મળી કુલ રૂ.88,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રિક્ષા ગેંગના સાગરીતોએ 13 મુસાફરોને લૂંટી લીધાની કબૂલાત આપી હતી. જેમાં આશરે 25 દિવસ પૂર્વે ગ્રીનલેન્ડ ચોકડીથી આજીડેમ ચોકડી વચ્ચે એક પેસેન્જરને રિક્ષામાં બેસાડી તેના ખિસ્સામાંથી રૂપિયા 1500 કાઢી લીધેલ હતા. એક મહિના પૂર્વે રાજકોટથી મોરબી જતી વખતે માળિયા ફાટક નજીક પેસેન્જરને રિક્ષામાં બેસાડી ખિસ્સામાંથી રૂ.4000, 1 મહિના પૂર્વે મોરબી જતી વખતે વિધિ ફાટક નજીકથી પેસેન્જરના ખિસ્સામાંથી રોકડા રૂ.9,000, બે મહિના પૂર્વે મોરબી-ટંકારા રોડ પર પેસેન્જરને રિક્ષામાં બેસાડી ખિસ્સામાંથી રૂ.3000, 1 મહિના પૂર્વે ગ્રીનલેન્ડ ચોકડીથી કુવાડવા ગામ વચ્ચે પેસેન્જરના ખિસ્સામાંથી રૂ.2500, એક માસ પૂર્વે ગોંડલ ચોકડીથી સાપર વચ્ચે પેસેન્જરના ખિસ્સામાંથી રૂ.5500, દસ દિવસ પૂર્વે મેટોડા જીઆઇડીસી પાસે પેસેન્જરના ખિસ્સામાંથી રૂ. 3500, 20 દિવસ પૂર્વે ગોંડલ ચોકડીથી આજીડેમ ચોકડી વચ્ચે પેસેન્જરના ખિસ્સામાંથી રૂ.2000, બે મહિના પૂર્વે આજીડેમ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી વચ્ચે પેસેન્જરના ખિસ્સામાંથી રૂ.3000, 15 દિવસ પૂર્વે વાંકાનેર પાસે પેસેન્જરના ખિસ્સામાંથી રૂ. 5,000, 25 દિવસ પૂર્વે હુડકો ચોકડીથી શાપર વચ્ચે પેસેન્જરના ખિસ્સામાંથી રૂ. 6000 અને દસેક દિવસ પૂર્વે આજીડેમ ચોકડીથી રાજકોટ બસ સ્ટેન્ડ વચ્ચે પેસેન્જરના ખિસ્સામાંથી રૂ. 3500 કાઢી લીધાની કબુલાત આપી હતી. પોલીસે ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપ્યો શહેરની ભક્તિનગર પોલીસે એક શખ્સને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે બાતમીના આધારે જંગલેશ્વર આર.એમ.સી ક્વાર્ટર બ્લોક નંબર 9 અને 14 પાસેથી શહેરમાં ગાંજો વેચતા 21 વર્ષીય મુસ્તકીમ શોકત બુખારીને ઝડપી પાડ્યો હતો જેની પાસેથી પોલીસે રૂ.86,600 ની કિંમતનો 1.732 ગ્રામ ગાંજો કબજે કર્યો હતો. આ જથ્થો કોની પાસેથી લાવ્યો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ઝડપાયેલા શખ્સ સામે ઉપલેટા પોલીસ મથકમાં અગાઉ દારૂના બે ગુના નોંધાઈ ચૂક્યા છે. મોટાભાઈના પ્રેમ સંબંધમાં નાના ભાઈનું કારમાં અપહરણ કરી બેફામ માર માર્યો શહેરના નવાગામમાં મોટાભાઈના પ્રેમ સંબંધમાં નાના ભાઈનું કારમાં અપહરણ કરી બેફામ ફટકારી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ઘટના બની છે. જે અંગે શ્યામભાઈ મુકેશભાઈ છૈયા (ઉ.વ.22) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ઈશ્વર, મૌલિક, વિવેક અને બે અજાણ્યા શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ડ્રાઈવિંગ કામ કરે છે. તેમના પરીવારમાં પિતા મુકેશભાઈ (ઉ.વ.48), માતા શોભનાબેન દાદી દેવકુબેન, મોટો ભાઈ રામભાઈ છે. ગત તા. 22 ના સવારના 8 વાગ્યે મોટાભાઈ રામભાઈ ગાડીનો ફેરો લઈ ઘરેથી નીકળ્યા અને પરત ઘરે આવ્યા ન હતા. પિતાને આ બાબતે જાણ થઈ હતી કે, મોટાભાઈ રામભાઈ કચ્છમાં રહેતા ઈશ્વરભાઈની દીકરી ડિમ્પલબેન સાથે પ્રેમ-સંબંધ હોય અને તેઓ બંને ઘરેથી ક્યાંક નીકળી ગયા હતા. જેથી તેમને બે દિવસથી શોધતા હતા. આ દરમિયાન 23 માર્ચના રાત્રીના આશરે 8.30 વાગ્યાની આસપાસ યુવાન પરીવાર સાથે ઘરે હતો અને પિતા કામથી બહાર ગયા હતા. જે દરમિયાન એક સફેદ કલરની સ્વીફ્ટ કાર ઘરની સામે આવી ઉભી રહી અને તેમાંથી 5 શખ્સો ઉતરી ઝઘડો કરવા લાગી હતા. તારો ભાઈ કયાં છે બોલ તેમ કહી ઝપાઝપી કરી બે-ત્રણ ફડાકા મારી દીધા હતા. જે બાદ કારમાં અપહરણ કરી રાજપરા ગામ થઈ નારણકા ગામથી લોઠડા ગામ થઈ ખોખડદડ ગામે શુભ ચોકડીએ લઈ ગયા હતા. જે પછી પાંચેય શખ્સો કહેવા લાગ્યા કે, તારા ભાઈના મિત્ર રાહુલના ઘરે લઈ જા. જેથી તેઓને રાહુલના ઘરે લઈ જતા તેનુ ઘર બંધ હતુ. જોકે તે બાદ નવાગામ જતા રસ્તે કારમાંથી ઉતારી દીધો હતો. આ અંગે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ દરમિયાન નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના પીપલગભણ ગામે વહીવટી તંત્ર અને રાજકીય પક્ષોની ચિંતામાં વધારો કર્યો છે. ગામમાં પાયાની સુવિધાઓના અભાવના આક્ષેપ સાથે ગ્રામજનોએ એકસૂરે ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું છે. ગામના જાહેર માર્ગો પર 'સુવિધા નહીં તો વોટ નહીં' ના બેનરો લગાડવામાં આવ્યા છે, જે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે, સરકાર દ્વારા ચલાવવામાં આવતી અનેક લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ તેમના સુધી પહોંચ્યો નથી. પીપલગભણ ગામના સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પીવાના પાણીની સમસ્યા વર્ષોથી યથાવત છે. 'નળ સે જલ' યોજના હેઠળ નવી ટાંકી અને ઘર સુધી નળ જોડાણની કામગીરી પૂર્ણ ન થતા મહિલાઓને હાલાકી ભોગવવી પડી રહી છે. આ ઉપરાંત, સગર્ભા મહિલાઓ અને નવજાત શિશુઓ માટેની મહત્વની 'માતૃ વંદના યોજના' નો લાભ મેળવવામાં પણ ગ્રામજનોને મુશ્કેલી પડી રહી છે. ગામના આંતરિક રસ્તાઓ પર સ્ટ્રીટ લાઈટના અભાવે રાત્રિના સમયે અંધારપટ છવાયેલો રહે છે, જેના કારણે સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા થયા છે. ચૂંટણી જાહેર થાય તે પૂર્વે જ ગામમાં ઠેર-ઠેર લાગેલા બેનરોએ સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે, જ્યાં સુધી તેમની પાયાની જરૂરિયાતો સંતોષવામાં નહીં આવે અને લેખિત ખાતરી નહીં મળે, ત્યાં સુધી તેઓ મતદાન પ્રક્રિયાથી દૂર રહેશે. આ ઘટનાને પગલે વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનોને સમજાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે કે કેમ અને રાજકીય નેતાઓ આ મામલે શું પ્રતિક્રિયા આપે છે તે જોવું રહ્યું.
દ્વારકામાં જગતગુરુ શંકરાચાર્ય દ્વારા સંચાલિત શારદાપીઠ કોલેજના પ્રોફેસર પ્રકાશ વણકરની કથિત હિન્દુ વિરોધી સોશિયલ મીડિયા પોસ્ટને કારણે વિવાદ સર્જાયો છે. શારદાપીઠ કોલેજના ઇકોનોમિક્સના એસોસિએટ પ્રોફેસર પ્રકાશ વણકર પર હિન્દુ ધર્મ વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ મૂકવાનો આરોપ છે, જેના પગલે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રોફેસર ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વિડીયો પોસ્ટ કર્યો શારદાપીઠ કોલેજના પ્રોફેસર પ્રકાશ વણકરે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં લખેલું હતું હિન્દુ કો લાત મારો, હિન્દુ કોઈ ધર્મ નહીં. આ વિડીયોમાં એક કથાવાચકનું નિવેદન કટ કરીને મૂકવામાં આવ્યું હતું અને સાથે જ માહિતી આપવામાં આવી હતી કે ચારે વેદોમાં સનાતન શબ્દ નથી અને બૌદ્ધ ધર્મે સનાતન શબ્દ આપ્યો છે. હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશઆ ઘટનાના વિરોધમાં આજે દ્વારકાના મુખ્ય માર્ગો પર હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ રેલી યોજવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. રેલી બાદ સંગઠનના આગેવાનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી હતી. નિષ્પક્ષ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગસંગઠનોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે શૈક્ષણિક સંસ્થામાં કાર્યરત વ્યક્તિ દ્વારા કોઈપણ ધર્મ કે સમાજની ભાવનાઓને ઠેસ પહોંચાડતી પ્રવૃત્તિઓ અયોગ્ય છે. આવા નિવેદનો અને પોસ્ટો સમાજમાં વૈમનસ્ય અને તણાવ પેદા કરી શકે છે. તેથી, સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સંગઠનોએ ચાર મુખ્ય માંગણીઓ રજૂ કરી છે: પ્રોફેસરની માનસિકતાની ઊંડી તપાસ થવી જોઈએ : હિન્દુ સંગઠનના પ્રમુખ આ ઘટનાને લઈને શહેરમાં વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. સ્થાનિક પ્રશાસન દ્વારા આ મામલાની નોંધ લેવામાં આવી છે અને જરૂરી તપાસ કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. હાલ સમગ્ર પંથકની નજર આ મામલે આગળ શું પગલાં લેવાશે તેના પર છે. હિન્દુ સંગઠનના પ્રમુખ ગિરધર જોશીએ આક્ષેપ કર્યો હતો કે, કોલેજમાં અભ્યાસ કરતા મોટાભાગના વિદ્યાર્થીઓ હિન્દુ સમાજના હોવા છતાં આવા વિચારો ધરાવતા વ્યક્તિ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિ ચિંતાજનક છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રોફેસરની માનસિકતા અને સોશિયલ મીડિયા પરની પ્રવૃત્તિઓની ઊંડી તપાસ થવી જોઈએ અને જવાબદારી નિર્ધારિત કરીને યોગ્ય પગલાં લેવામાં આવે. કોલેજના મુખ્ય ટ્રસ્ટી શંકરાચાર્યજીને આવેદનપત્ર મોકલાયું છે : કોલેજના પ્રિન્સિપાલસમગ્ર મામલે શારદાપીઠ કોલેજના પ્રિન્સિપાલ ડો.સંદીપ વાઢેરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે હિન્દુ સંગઠનો દ્વારા આપવામાં આવેલ આવેદનપત્ર સ્વીકારી લેવામાં આવ્યું છે અને આ કોલેજ ટ્રસ્ટની હોય, આ આવેદનપત્ર કોલેજના મુખ્ય ટ્રસ્ટી શંકરાચાર્યજીને સુપ્રત કરવામાં આવશે. જેમાં શંકરાચાર્યજી દ્વારા જે કંઈ પગલા લેવાશે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ભાવનગર શહેરની જોગીવાડની ટાંકી પાસે આવેલા ઉબેદ શેખના ઈન્ડીયા હાઉસમાં બે દિવસ પૃવે થેયલી ફાયરીંગની ઘટના બાદ એસપી સહિતના પોલીસ કાફલા સાથે સર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રતિબંધિત કાળીયારના 4 શીંગડા, પોકેટ મંકી, 50 જીવતા કાર્ટીસ, 6 છરા અને 1 વિદેશી દારૂની બોટલ મળી આવતા ગંગાજળીયા પોલીસ મથકમાં ઉબેદ શેખ અને તેના ભાઈ ઇમ્દાદ શેખ સામે હથિયાર ધારા અને પ્રોહિબીશન એક્ટ હેઠળ અલગ-અલગ બે ગુના નોંધાયા હતાં. જેમાં એસઓજી પોલીસને હથિયારધારાની તપાસ સોપતા બન્ને ભાઈનો કબજો સંભાળી કોર્ટમાં રજૂ કરી 1 દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતાં. જે રિમાન્ડ દરમિયાન તેના કબજામાંથી મળી આવેલા 50 કાર્ટીસ તેના પર્સલ બોડીગાર્ડના હોવાની કબુલાત આપી હતી. બાદ આજે રિમાન્ડ પૂર્ણ થતાં બન્નેને કોર્ટમાં રજુ કર્યા બાદ જિલ્લા જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતાં. 50 જીવતા કાર્ટીસ, 6 છરા અને 1 વિદેશી દારૂની બોટલ મળીઆ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં તા.22 માર્ચની વહેલી સવારે ફાયરીંગના બનાવ બાદ જોગીવાડની ટાંકી વિસ્તારમાં આવેલા ઉબેદઉલ્લા ઉર્ફે ઉબેદ કરીમભાઈ શેખના ઈન્ડીયા હાઉસમાં બે દિવસ પૂર્વે સાંજના અરસા દરમિયાન ફાયરીંગના ગુનામાં સંડોવાયેલા વલી હાલારી અને તેનો ભાઈ તૌફિક હાલારી છુપાયા હોવાની બાતમી આધારે એસપી નિતેશ પાંડે સહિતના મસમોટા કાફલાએ સર્ચ હાથ ધર્યુ હતું. ગંગાજળીયા પોલીસે બન્નેની ઘરેથી જ ધરપકડ કરી લીધીજેમાં સર્ચ દરમિયાન તેના કબજામાંથી પોકેટ મંકી, 4 કાળીયારના શીંગડા, 50 જીવતા કાર્ટીસ, 6 છરા અને 1 વિદેશી દારૂની બોટલ મળી આવતા ઉબેદુલ્લાહ ઉર્ફે ઉબેદ અબ્દુલ કરીમભાઈ શેખ અને તેના ભાઈ ઈન્દાદુલ્લાહ ઉર્ફે ઇમ્દાદ અબ્દુલ કરીમભાઈ શેખ સામે ગંગાજળીયા પોલીસે 1 ગુનો હથીયાર ધારા કલમ 25(1-B)(A), 29, મુજબ જ્યારે 2 ગુનો પ્રોહિબીસન 65(a) (a), 116-B, 81 એક્ટ તળે નોંધાયો હતો. અને કાળીયારના શીંગડા મામલે વન વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. ગંગાજળીયા પોલીસે બન્ને ભાઈની ઘરેથી જ ધરપકડ કરી લીધી હતી. બન્નેને કોર્ટમાં રજુ કર્યા બાદ ભાવનગર જિલ્લા જેલ હવાલે કરાયાગંગાજળીયા પોલીસ મથકમાં નોંધાયેલા હથીયારધારાના ગુનાની તપાસ એસઓજી પોલીસ ને સોપાતા એસઓજીએ ઉબેદ શેખ અને ઇમ્દાદ શેખ બન્ને ભાઈનો કબજો મેળવી ગઈકાલના રોજ કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરતા બન્ને ભાઈઓના એક દિવસના પોલીસ રિમાન્ડ મળ્યા હતાં. જે રિમાન્ડ આજરોજ પુર્ણ થતા બન્નેને કોર્ટમાં રજુ કર્યા બાદ કોર્ટના આદેશ તળે ભાવનગર જિલ્લા જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા. પર્સલન સિક્યુરીટી ગાર્ડના 50 જીવતા કાર્ટીસ હોવાનો ઘટસ્ફોટઆ બનાવના પગલે એસઓજી PI સુનેસરાએ દિવ્યભાસ્કર સાથે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યુ હતું કે, પોલીસ રિમાન્ડ પર રહેલ ઉબેદ શેખ અનેં ઇમ્દાદ શેખ બન્ને ભાઈઓને તેના ઘરમાંથી મળી આવેલ 50 જીવતા કાર્ટીસ અંગે પુછપરછ કરતા તેઓએ જણાવેલ કે કાર્ટીસ તે તેના નહીં પણ તેના પર્સલન સિક્યુરીટી ગાર્ડના છે. અને તેના સિક્યુરિટી ગાર્ડ હાલ મધ્યપ્રદેશ તેના વતનમાં હોવાની જણાવ્યું હતું. કાર્ટીસ બાબતની ખરાઈ કરવા સિક્યુરિટી ગાર્ડને બોલાવવામાં આવશે અને તેની પુછપરછ હાથ ધરવામાં આવશે નું જણાવ્યું હતું.
ગાંધીનગરના સેક્ટર-23માં રહેતા નિવૃત નાયબ સચિવના પરિવાર દ્વારા આચરવામાં આવેલા કરોડોના ફૂલેકા પ્રકરણમાં આખરે મોટો વળાંક આવ્યો છે. છેલ્લા પાંચ મહિનાથી પોલીસને થાપ આપી રહેલી મુખ્ય આરોપી નીરવ દવેની પત્ની મીરા દવેએ આખરે પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી છે. જોકે ધરપકડ બાદ પણ મીરાએ પૈસા બાબતે હાથ અધ્ધર કરી મૌન સેવી લેતા પોલીસ પણ માથું ખંજવાળતી થઈ ગઈ છે. જેને પણ પતિ પુત્ર અને સસરાની માફક કોર્ટે સેન્ટ્રલ ધકેલી દેવાઈ છે. બીજી તરફ કરોડો રૂપિયા ક્રિપ્ટો કે હવાલા મારફતે વિદેશ મોકલાયા હોવાની આશંકાએ EDએ તપાસનો ધમધમાટ ચાલુ રાખતા હવે રોકાણકારોની હાલત પણ સુડી વચ્ચે સોપારી જેવી થઈ છે. કૌભાંડનો આંકડો ઇન્ફોસિટી પોલીસના ચોપડે હાલ 33 કરોડપાટનગરમાં નિવૃત નાયબ સચિવના પુત્ર અને પુત્રવધુ દ્વારા આચરવામાં આવેલા કરોડો રૂપિયાના હાઈપ્રોફાઈલ ઠગાઈ પ્રકરણમાં આખરે લાંબા સમયથી ફરાર મીરા દવેએ પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી લીધી છે. ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નકલી ટેન્ડરોના નામે આચરેલા આ કૌભાંડનો આંકડો ઇન્ફોસિટી પોલીસના ચોપડે હાલ 33 કરોડ બોલી રહ્યો છે, પરંતુ પડદા પાછળ હજુ પણ અનેક નામાંકિત બિલ્ડરો અને ડોક્ટરો ભોગ બન્યા હોવાથી આ આંકડો 80 કરોડ સુધી પહોંચવાની પ્રબળ શક્યતા છે. મીરાના મોનથી પણ પોલીસ માથું ખંજવાળતી થઈ જોકે પોલીસ ધરપકડ બાદ પણ મીરા દવેએ તેના પતિ નીરવની માફક જ મૌન ધારણ કરી કરોડો રૂપિયા બાબતે કશું જ જાણતી ન હોવાનું રટણ શરૂ કરતાં ઇન્ફોસિટી પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. લેટરપેડ પર નકલી વર્ક ઓર્ડર બનાવી રોકાણકારોને ફસાવ્યાઆ સમગ્ર કૌભાંડની જાળ વર્ષ 2004થી ગૂંથવાની શરૂ થઈ હતી. આ શાતિર પરિવારે ઠગાઈ માટે હાઈપ્રોફાઈલ સરકારી પ્રોજેક્ટ્સનો સહારો લીધો હતો. ગુજરાત ટુરિઝમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના લેટરપેડ પર નકલી વર્ક ઓર્ડર બનાવી રોકાણકારોને શીશામાં ઉતારવામાં આવતા હતા. નીરવ દવેનો પુત્ર યજત નકલી દસ્તાવેજો તૈયાર કરતોનીરવ દવે અને તેના પરિવારે પાટણની રાણકી વાવમાં ઇલેક્ટ્રિક લાઇટિંગ, દ્વારકાના શિવરાજપુર બીચનું ડેવલપમેન્ટ અને અમરેલીના રાજમહેલ કિલ્લાના રિનોવેશન જેવા સરકારી કામોના નકલી વર્ક ઓર્ડર બનાવી રોકાણકારોને વિશ્વાસમાં લીધા હતાં. આ ઠગાઈમાં નીરવનો પુત્ર યજત ડિજિટલ એડિટિંગ દ્વારા અસલી સરકારી પત્રોમાં છેડછાડ કરીને નકલી દસ્તાવેજો તૈયાર કરતો હતો, જ્યારે નીરવના પિતા મહેન્દ્ર દવે નિવૃત નાયબ સચિવ હોવાથી રોકાણકારોને આ સરકારી પ્રોજેક્ટ્સ સાચા હોવાનો પૂરો ભરોસો બેસી જતો હતો. તમામ ભોગ બનનાર સામે આવે તો આંકડો 80 કરોડને પાર થઈ શકેઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં હાલ ઠગાઈનો આંકડો 33 કરોડ નોંધાયો છે. પરંતુ સૂત્રો મુજબ, હજુ પણ 17 જેટલા એવા રોકાણકારો છે જેમના કરોડો રૂપિયા ડૂબ્યા છે. આ રોકાણકારોએ બ્લેક મની રોક્યા હોવાથી તેઓ સામે આવતા ડરી રહ્યા છે. જો આ તમામ ભોગ બનનાર સામે આવે તો કૌભાંડનો કુલ આંકડો 80 કરોડને પાર કરી શકે છે. ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરીને વિદેશ મોકલાયાજોકે ઠગાઈની કરોડોની રકમ ક્યાં ગઈ તે અંગે પોલીસ તપાસમાં હજુ સુધી કોઈ નક્કર વિગતો હાથ લાગી નથી. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ નાણાં ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરવામાં આવ્યા છે અથવા હવાલા મારફતે વિદેશમાં મોકલી દેવાયા છે. EDની એન્ટ્રી, નોટિસો ફટકારીને ખુલાસા માગ્યાઆ આર્થિક ગુનાની ગંભીરતાને જોતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDએ પણ ઝંપલાવ્યું છે. ED દ્વારા ભોગ બનનાર વેપારીઓને નોટિસો ફટકારીને એક મહિનામાં રોકાણ કરેલા નાણાંના સ્ત્રોતનો હિસાબ રજૂ કરવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જેને પગલે અનેક રોકાણકારો હવે પોતાની સામે જ તપાસ ન શરૂ થાય તેવા ફફડાટમાં જીવી રહ્યા છે. મીરા અલગ અલગ સ્થળોએ નાસતી ફરતી હતીઆ અંગે ઇન્ફોસિટી પીઆઇ વી.આર. ખેરે જણાવ્યું કે, મીરા દવે અત્યાર સુધીમાં અલગ અલગ સ્થળોએ નાસતી ફરતી હતી. છેલ્લે તે વૈષ્ણવોદેવી કોઈ ગામડામાં રોકાઈ હતી. જેને આજે સરન્ડર કરતા તેની ભાવિક સાથેની ઠગાઇના ગુનામાં ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાઈ હતી. UST એકાઉન્ટ્સની તપાસમાં પણ પૈસાનો સગળ મળ્યા નથીવધુમાં, જેની પૂછતાછમાં પૈસાનો હિસાબ નીરવ રાખતો હોવાથી કશું તે જાણતી નહીં હોવાનું સામે આવ્યું છે. જેના UST એકાઉન્ટ્સની તપાસમાં પણ પૈસાનો સગળ મળ્યા નથી. આગામી દિવસોમાં અન્ય ગુનાઓમાં ફરી ધરપકડ કરી આજ પ્રોસેસ કરીશું. બાદમાં કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરીશું. આમાં હવે કરોડોની ઠગાઈ પ્રકરણમાં પોલીસ તપાસમાં પૈસાની આશાએ બેસી રહેલા રોકાણકારોને રાતા પાણીને રોવાનો વખત આવ્યો હોવાનો ઘાટ ઘડાયો છે.
બોટાદ અકસ્માત કેસમાં આરોપી નિર્દોષ જાહેર:ધારાશાસ્ત્રી રાજુભાઈ પરમારની દલીલોથી કોર્ટે મુક્ત કર્યો
બોટાદ જિલ્લાના પાળીયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અકસ્માત અને બેદરકારીથી વાહન ચલાવવાના કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. બોટાદની ૨-એડિશનલ સિવિલ જજ અને જે.એમ.એફ.સી. કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.આ કેસમાં બચાવ પક્ષે જાણીતા ધારાશાસ્ત્રી રાજુભાઈ એમ. પરમાર રોકાયા હતા. તેમની કાયદાકીય કુનેહ અને તાર્કિક દલીલોના પરિણામે અદાલતે આરોપીને નિર્દોષ મુક્ત કરવાનો હુકમ કર્યો. એડવોકેટ રાજુભાઈ પરમારે સાક્ષીઓની ઝીણવટભરી ઉલટતપાસ કરી હતી. તેમણે પુરાવાઓનું સચોટ પૃથક્કરણ રજૂ કર્યું હતું અને સાબિત કર્યું કે ફરિયાદી પક્ષ ભારતીય દંડ સંહિતા (IPC) કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮ હેઠળ ગુનો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. નામદાર અદાલતે બચાવ પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો ન્યાયિક આદેશ કર્યો હતો. આ ચુકાદાને પગલે બોટાદના કાયદાકીય વર્તુળોમાં એડવોકેટ રાજુભાઈ પરમારની કામગીરીની સરાહના થઈ રહી છે.
રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ હોવાની સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલોમાં વહેતી થયેલી અફવાઓના પગલે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) ના ડિવિઝનલ રીટેલ સેલ્સ હેડ અમીતભાઈ શીવપ્રસાદ જયસ્વાલ દ્વારા રાજકોટ જીલ્લા પેટ્રોલ ડીઝલ ડીલર એસોશીએશનના પ્રમુખ ગોપાલભાઈ ચુડાસમા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મુદ્દે પોલીસે આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આ ઘટનાની શરૂઆત 23/03/2026 ના રોજ થઈ હતી. સવારના આશરે 10:30 કલાકે રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર આવેલ IOCL ભવન ખાતે ગોપાલ ચુડાસમા આશરે 40 થી 50 પેટ્રોલ-ડીઝલ ડીલરો અને મીડિયા કર્મચારીઓ સાથે કોઈપણ પૂર્વ મંજૂરી વગર પહોંચ્યા હતા. ત્યાં તેઓએ IOCLના અધિકારી અમીત જયસ્વાલ સાથે પેટ્રોલ અને ડીઝલના જથ્થા બાબતે પૂછપરછ કરી હતી. દરમિયાન અધિકારીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, કંપની પાસે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠો નિયમિત રીતે મળી રહેશે. ડીલરોએ ત્યારે સહયોગ આપવાનું આશ્વાસન પણ આપ્યું હતું. જોકે, ઓફિસની બહાર નીકળ્યા બાદ ગોપાલ ચુડાસમાએ મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી તદ્દન વિપરીત નિવેદનો આપ્યા હતા. તેમણે એવો દાવો કર્યો હતો કે પેટ્રોલ પંપો પર પેટ્રોલ-ડીઝલનો જથ્થો ખૂટી ગયો છે અને પંપો 'ડ્રાય' થઈ ગયા છે. આ ખોટા નિવેદનો ન્યૂઝ ચેનલો અને સોશિયલ મીડિયામાં વાયુવેગે ફેલાઈ જતાં સામાન્ય જનતામાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. તેમજ ગોપાલ ચુડાસમા દ્વારા ફેલાવવામાં આવેલી આ ખોટી માહિતીના કારણે લોકોમાં પેનિક સર્જાયું હતું. લોકો એવું માની બેઠા હતા કે હવેથી ઈંધણ મળશે નહીં, જેના કારણે શહેરના મોટાભાગના પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. આ સ્થિતિને કારણે શહેરમાં અરાજકતાનું વાતાવરણ ઉભું થયું હતું. તેમજ સામાન્ય નાગરિકોને ખોટી રીતે હેરાનગતિ ભોગવવી પડી હતી. IOCL ના અધિકારીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, હાલની વૈશ્વિક યુદ્ધ જેવી પરિસ્થિતિમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર લોકોને જીવનજરૂરી ચીજવસ્તુઓ અને ઈંધણનો પૂરતો પુરવઠો મળી રહે તે માટે પ્રયત્નશીલ છે. ત્યારે આવી સંવેદનશીલ પરિસ્થિતિમાં જવાબદાર પદ પર રહેલા વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી આ પ્રકારની અફવા વિતરણ વ્યવસ્થામાં અડચણ ઉભી કરી શકે છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જોખમાવી શકે છે. IOCL કંપનીનાં સેલ્સ હેડ અમીત જયસ્વાલે નોંધાવેલી આ ફરિયાદના આધારે પ્રદ્યુમનનગર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. ફરિયાદમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કંપની પાસે જથ્થો હોવા છતાં ખોટા નિવેદનો આપીને લોકોને ગેરમાર્ગે દોરવાનું કૃત્ય કરવામાં આવ્યું છે. હાલમાં પોલીસ દ્વારા ગોપાલ ચુડાસમા અને આ અફવા ફેલાવવામાં અન્ય જે કોઈની સંડોવણી હશે તેની સામે કડક પગલાં લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા પણ પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નહીં હોવાનું જણાવાયું છે. તંત્ર દ્વારા નાગરિકોને અપીલ પણ કરવામાં આવી છે કે આવી કોઈપણ પાયાવિહોણી અફવાઓ પર વિશ્વાસ ન કરવો. પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો તમામ પંપો પર નિયમિત રીતે પહોંચાડવામાં આવી રહ્યો છે અને જથ્થાની કોઈ અછત નથી. ત્યારે લોકો અફવાઓમાં દોરાય નહીં અને ખોટી લાઈનો પણ ન લગાવે તે જરૂરી છે.
વડોદરા શહેરમાં આગામી રામનવમીના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જેને લઈને સીટી પોલીસ સ્ટેશન તથા કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નિકળનાર શોભાયાત્રાના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ સાથે ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમર તથા જોઇન્ટ પોલીસ કમિશનર (ક્રાઇમ, લૉ એન્ડ ઓર્ડર) નિલેષ જાંજડિયાની અધ્યક્ષતામાં ડીસીપી ઝોન-04 એન્ડ્રુ મેકવાન, એસીપી જી-ડિવિઝન એમ.પી. ભોજાણી, સીટી પોલીસ સ્ટેશનના પીઆઈ આર.બી. ચૌહાણ, સેકન્ડ પીઆઈ કે.ડી. માંગરોલિયા તેમજ કુંભારવાડા પોલીસ સ્ટેશનના પીઆઈ એ.જે. પાંડવ, સેકન્ડ પીઆઈ બી.આર. ગૌડ અને અન્ય પોલીસ સ્ટાફની હાજરીમાં વ્યાપક બંદોબસ્ત ગોઠવાયો હતો. શોભાયાત્રાનો રૂટ કુંભારવાડા પોલીસ સ્ટેશનથી શરૂ કરી બેલબજાર નાકા, હાથીખાના, અલીફનગર ત્રણ રસ્તા, ફતેપુરા ચાર રસ્તા, અડાણીયા પુલ ચાર રસ્તા અને ચાંપાનેર દરવાજા થઈ માંડવી દરવાજા સુધી નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ સમગ્ર રૂટ પર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરી સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી છે. પેટ્રોલિંગ દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા કોમી એકતા જળવાઈ રહે તે માટે મહોલ્લાના આગેવાનો અને એફ.ઓ.પી.ના સભ્યોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, શોભાયાત્રાના રૂટ પર આવેલા હોરાઇઝન પોઇન્ટ્સ અને મકાનોનાં ધાબા ઉપર ડ્રોન દ્વારા સર્વેલન્સ રાખી ચેકિંગ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય આવક ટેક્સની રકમ છે. નોનટેક્સ આવક તરીકે રિઝર્વ પ્લોટના વેચાણ તરીકે મળતી રકમ છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બોડકદેવ અને મોટેરા વિસ્તારમાં બે પ્લોટ વેચાણ માટે મુક્યા છે. બંને પ્લોટના વેચાણથી મ્યુનિ.ને રૂ. 260 કરોડથી વધારે રકમ ઉપજે જેવી શક્યતા છે. પ્લોટની આવકમાંથી પ્રજાના વિકાસ કાર્યોમાં ખર્ચ કરવામાં આવશે. માત્ર બોડકદેવના પ્લોટના વેચાણથી જ રૂ. 225.68 કરોડની આવક થશે. બંને પ્લોટના વેચાણથી 260 કરોડ કરતાં વધારે આવકનો અંદાજમ્યુનિસિપલ કોર્પોરેશનને ટીપી સ્કીમ યોજના કપાતમાં કોમર્શિયલ તેમજ રેસિડેન્સિયલ હેતુના પ્લોટ મળે છે. જેમાંથી કેટલાક પ્લોટનું વેચાણ કરવામા આવે છે. જે પ્લોટના વેચાણથી મ્યુનિસિપલ કોર્પોરેશનને કરોડોની આવક થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના મોટેરા અને બોડકદેવ વિસ્તારમાં પ્લોટ વેચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બંને પ્લોટના વેચાણથી 260 કરોડ કરતાં વધારે આવકનો અંદાજ છે. 24થી 13 એપ્રિલ સુધીમાં રજીસ્ટ્રેશન અને બીડ કરી શકાશેઉલ્લેખનીય છે કે, મ્યુનિ. દ્વારા તળીયાની કિંમતમાં મોટેરાના પ્લોટની કિંમત પ્રતિ ચો.મી. રૂ. 1.42 લાખ જ્યારે બોડકદેવના પ્લોટની કિંમત રૂ. 2.80 લાખ નક્કી કરી છે. આગામી 16મી એપ્રિલ 2026ના રોજ આ બંને પ્લોટની ઇ-હરાજી થશે. 24થી 13 એપ્રિલ સુધીમાં રજીસ્ટ્રેશન અને બીડ કરી શકાશે. મચ્છર નિયંત્રણ ફોગીંગ પાછળ સૌથી વધુ 15 કરોડ ખર્ચાયા મચ્છરજન્ય રોગચાળાને નાથવા માટે કરવામાં આવતા ખર્ચના આંકડાઓ સામે આવ્યા છે. વર્ષ 2020થી 2025 દરમિયાન એટલેકે, છેલ્લા પાંચ વર્ષમાં ફેગીંગ, આઈ.આર.એસ.અને ઇન્ટ્રા ડોમેસ્ટિક કામગીરી પાછળ 34.86 કરોડનો ધુમાડો કરવામાં આવ્યો છે છતાં પરિસ્થિતી ઠેરની ઠેર જોવા મળી રહી છે. વર્ષ 2024-25માં મચ્છર નિયંત્રણ ફોગીંગ પાછળ સૌથી વધુ 15 કરોડ ખર્ચાયા છે. મચ્છરોનો ત્રાસ અને રોગચાળો હજુ પણ યથાવતમ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રનો દાવો છે કે મચ્છર દૂર કરવા ગુણવત્તાયુક્ત દવાઓ વાપરે છે,પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં મચ્છરોનો ત્રાસ અને રોગચાળો હજુ પણ યથાવત હોવાથી આ કરોડોના ખર્ચની અસરકારકતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. પાંચ વર્ષમાં 15 કરોડનો ખર્ચ છેલ્લા પાંચ વર્ષના ખર્ચના આંકડાઓ મુજબ વર્ષ 2024-25માં તંત્રએ આક્રમક કામગીરીના નામે બજેટનો મોટો હિસ્સો વાપર્યો છે. જેમાં વર્ષ 2025માં માત્ર ફેગીંગ પાછળ જ 7.11 કરોડનો ખર્ચ થયો છે. જ્યારે પાંચ વર્ષમાં 15 કરોડનો ખર્ચ થયો છે. શું દવાઓની ગુણવત્તાની ચકાસણી માત્ર કાગળ પર જ થાય છે ? વિપક્ષનો આક્ષેપ છેકે, જો આટલો જંગી ખર્ચ થતો હોય તો મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા કેસોમાં નોંધપાત્ર ઘટાડો કેમ નથી દેખાતો ? શું દવાઓની ગુણવત્તાની ચકાસણી માત્ર કાગળ પર જ થાય છે ? જોકે,વિભાગે સ્પષ્ટતા કરી છે કે દવાની ખરીદી બાદ સરકારી લેબોરેટરીમાં પરીક્ષણ કર્યા પછી જ તેનો ઉપયોગ કરવામાં આવે છે અને તેની સંપૂર્ણ જવાબદારી હેલ્થ મેલેરિયા વિભાગની રહે છે. જોકે આ તમામ બાબતો ઉપર સવાલ ઉભા થયા છે.
સુરેન્દ્રનગરના જાણીતા એડવોકેટ રૂસ્તમભાઈ ઉસ્માનભાઈ પીલુડીયાની સુરેન્દ્રનગર લઘુમતી મોરચાના કાર્યાલય મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમને સુરેન્દ્રનગર-વઢવાણ શહેર માટે આ જવાબદારી સોંપવામાં આવી છે. આ નિમણૂક સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી રાજેશભાઈ શુકલ અને જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયાના નેતૃત્વ હેઠળ કરાઈ હતી. આ સમાચાર બાદ સમાજ અને એડવોકેટ મિત્રો સહિત રાજકીય આગેવાનો તરફથી તેમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવાયા હતા. પોતાની નિમણૂક બદલ રૂસ્તમભાઈ પીલુડીયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ નિતીન નબીનજી, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, વઢવાણ ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, પ્રદેશ પ્રમુખ લઘુમતી મોરચાના નાહીનભાઈ કાજી, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા અને સુરેન્દ્રનગર જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ એ ડી વારૈયા સહિત ભારતીય જનતા પાર્ટીના તમામ અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
ડાયમંડ સિટી સુરત હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામી રહ્યું છે. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ, કતારગામના સહયારા પ્રયાસોથી 31મું અંગદાન કરવામાં આવ્યું છે. મૂળ. ઉદયપુર (રાજસ્થાન)નાં રહેવાસી અને સુરતના, પુણાગામ ખાતે માનવતાનો અનોખો ઉદાહરણ સામે આવ્યો છે, જ્યાં માત્ર 144 કલાકના નવજાત બેબી – અંગદાતા પાર્થ (બેબી ઓફ ભૂમિકાબેન પ્રકાશભાઈ સવર્ણકાર) દ્વારા અંગદાન કરીને ચાર લોકોના જીવનનોદીપ પ્રગટાવ્યો છે. તા. ૧૬/૦૩/૨૦૨૬ના રોજ સાંજે હોસ્પીટલમાં એક તરફ પરિવારજનો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ ચાલી રહ્યા હતા, ત્યારે બીજી તરફ ભૂમિકાબેનએ નોર્મલ ડિલિવરી દ્વારા બાળકને જન્મ આપ્યો હતો. જન્મ પછી બાળક દ્વારા રડવાનો પ્રતિસાદ ન મળતા તાત્કાલિક તેને ICUમાં દાખલ કરવામાં આવ્યું હતું. શરૂઆતથી જ ન્યુરોલોજીકલ મૂવમેન્ટ ન હોવાથી વિશેષ બ્રેઇન રિપોર્ટ્સ કરવામાં આવ્યા હતા. સઘન સારવાર છતાં તા.૨૨/૦૩/૨૦૨૬ના રોજ દીપ ચિલ્ડ્રન હોસ્પિટલના તબીબો બેબીને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવતા, ડૉ. દર્શન ધોળકિયા દ્વારા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટીમના ડૉ. નિલેશ કાછડીયા, વિપુલ તળાવીયા અને જસ્વીન કુંજડિયા દ્વારા પરિવારજનોને અંગદાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેબીની માતા ભૂમિકાબેન નર્સિંગ સ્ટાફ હોવાથી તેમણે પોતાના પતિ પ્રકાશભાઈ અને અન્ય તમામ પરિવારના સ્વજન સાથે ચર્ચા કરીને અંગદાન માટે સંમતિ આપી જે સર્વત્ર સમાજ માટે પ્રેરણારૂપ નિર્ણય સાબિત થયો છે. અંગદાનની સંમતી મળતા સોટોમાં રજીસ્ટ્રેશન પ્રોસેસ શરુ કરવામાં આવી હતી. આ અંગદાન અંતર્ગત બંને કિડનીઓ IKDRC, અમદાવાદ ખાતે અને બંને ચક્ષુઓ લોકદ્રષ્ટિ ચક્ષુબેંક દ્વારા સ્વીકારવામાં આવ્યા છે. આ અંગદાનથી ચાર લોકોને નવજીવન મળશે. વિશેષ સહયોગ ગુજરાત પોલીસ દ્વારા દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ, સિંગણપોર ચોકડી, કતારગામથી લઈને IKDRC, આસરવા, અમદાવાદ સુધી ગ્રીન કોરિડોર સુવ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં આવ્યો હતો, જેના કારણે અંગોને સમયસર પહોંચાડવામાં સફળતા મળી. આ દુઃખદ ઘટનામાંથી પણ માનવતાનો મહાન સંદેશ આપતા સવર્ણકાર પરિવારનો આ નિર્ણય સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યો છે - “અંગદાન એટલે જીવનદાન” નો સંદેશ વધુ મજબૂત બન્યો છે. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ, કતારગામના સહયારા પ્રયાસોથી 31મું અંગદાન સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું. આ અંગદાન અંતર્ગત બંને કિડની અને બંને ચક્ષુઓ દાન કરવામાં આવ્યા, જેના થકી કુલ-4ને નવજીવન મળશે.
રાજકોટ પોલીસ દ્વારા વ્યાજખોરોના ત્રાસથી પરેશાન લોકો માટે જનસંપર્ક સભા યોજાઈ હતી. પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલી આ સભામાં વ્યાજની પઠાણી ઉઘરાણીથી પરેશાન અનેક લોકોએ જાહેરમાં રજૂઆત કરી હતી. જેમાં રાજકોટ તાલુકાના લોધીડા ગામના ખેડૂતે તેમના જ ભાણેજને નાણાની જરૂરિયાત હોવાથી ખેતીની જમીન ગીરવે મૂકી 30 લાખ વ્યાજે લીધા હતા. જે બાદ નાણા પરત આપી દીધા બાદ પણ વ્યાજખોરો 1.48 કરોડની માંગણી કરતા પરિવાર રસ્તા પર આવી ગયો હોવાની રજૂઆત વખતે આજીડેમ પોલીસ સ્ટેશનના PI જાડેજા સાથે બોલાચાલીની ઘટના બની હતી. આ પરિવારના મહિલાએ તો રડતા રડતા કહ્યું કે, જો અમને ન્યાય નહીં મળે તો અમારે ગુજરાત છોડવું પડશે. આ ઉપરાંત અમદાવાદની વિશાલ સંઘવી પ્રોપરાઇટર ખેવના ઇન્ફ્રાસ્ટ્રક્ચર 33 લાખ ન આપતા હોવાની તો મની પ્લસ શરાફી મંડળીમાં રોકેલા 20 કરોડ ડૂબી ગયાની રજૂઆતો આવી હતી. જમીન વેચી પૈસા આપ્યા છતાં બેથી ત્રણ વાર મારા ઉપર હુમલો થયોજગાભાઈ ઝાપડિયાએ જણાવ્યું હતું કે, સરધાર પાસેના લોધીડા ગામે રહીએ છીએ. અમારા ભાણેજ માટે વિનોદભાઈ, વિક્રમભાઇ અને વિરમભાઇ પાસેથી 30 લાખ લીધા હતા. મેં મારી જમીન વેંચીને પૈસા આપી દીધા. બેથી ત્રણ વખત મારા ઉપર હુમલો થયો. જેથી મેં દવા પી લીધી. મારી પાસે 1.48 કરોડ માંગવામાં આવ્યા. જેનું મારી પાસે મોબાઇલમાં રેકોર્ડિંગ પણ છે. 56 દિવસ થયા છતાં પોલીસ સ્ટેશનમાં મારી ફરિયાદ લેવામાં ન આવી. આ બાબતે કલેકટર અને મુખ્યમંત્રીને આવેદન આપ્યું હતું. મીડિયાની સમક્ષ હું નાણા આપવા માટે તૈયાર છું. જોકે અહીં પોલીસને રજૂઆત કરી તો આજીડેમ પોલીસ મથકના PI એ. બી. જાડેજાએ કહ્યું કે, મારી સાથે શા માટે આ રીતે બોલાચાલી કરી. 'ન્યાય નહીં મળે તો ગુજરાત છોડવું પડશે'હંસાબેન ઝાપડિયાએ જણાવ્યું હતું કે, અમે વિનોદ જસવંત ચૌહાણ માટે પ્રકાશ ચાવડા પાસેથી રૂપિયા 30 લાખ વ્યાજે લીધેલા હતા. પ્રકાશ ચાવડાએ કહ્યું કે મામા મને પૈસા આપો. નહીંતર હું મરી જઈશ. અમારી પાસે બીજું કઈ ન હતું. જેથી અમે અમારા સસરાની જમીન વેચી અને પૈસા આપ્યા હતા. જોકે, હવે તે પૈસા આપતો નથી અને હાથ ઊંચા કરી દીધા છે. પ્રકાશ ચાવડા અને વિનોદ ચૌહાણ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે. આ બંનેને કારણે મારો પરિવાર આજે રોડ ઉપર આવી ગયો છે. અમારી પાસે વધુ પૈસાની માગણી કરી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે. જેથી અમારો પરિવાર પણ ડર સાથે જીવી રહ્યો છે. જો અમને ન્યાય નહીં મળે તો અમે ગુજરાત છોડી અને ચાલ્યા જશું. 'હેમુ ગઢવી હોલમાં પ્રોગ્રામ કરતો અને લોકોને ફસાવતો'આ ઉપરાંત વલ્લભભાઈ પટેલે જણાવ્યું હતું કે, મની પ્લસ શરાફી મંડળીના સંચાલક અલ્પેશ ગોપાલ દોંગા છે. જેની નાનામવા રોડ ઉપર મંડળી હતી. લોકો નાણા રોકે તે માટે હેમુ ગઢવી હોલમાં પ્રોગ્રામ કરતો અને લોકોને ફસાવતો. તે કહેતો કે તમે આમાં પૈસા રોકો એટલે સોનાના નળિયા થઈ જશે. જેમાં લોકોની રૂ.20 કરોડની ડિપોઝિટ મૂકેલી હતી. અમુક લોકોએ તો પોતાની આખા જીવનની કમાણી ડિપોઝિટ તરીકે મૂકી હતી. જોકે હવે તે પૈસા પાછા આપતો નથી. અલ્પેશ પોતે ચાર વખત જેલમાં જઈ આવી ચૂક્યો છે અને જામીન લઈ છૂટી જાય છે. રાજકોટના PMC પ્રોજેક્ટના વાસુદેવ રોક સેન્ડ LLPના મગનલાલ મોહનભાઈએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે, અમદાવાદની વિશાલ સંઘવી પ્રોપરાઇટર ખેવના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને રૂ.43,83,633 નું ક્રસિંગ મટીરીયલ સાડા ત્રણ વર્ષ પહેલા આપ્યું હતું. જેની સામે રૂ.10,14,159 મળ્યા છે. જ્યારે રૂ.33,69,474 આપવાના બાકી છે.
ગાંધીનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના પુરવઠાને લઈને ફેલાઈ રહેલી વિવિધ અફવાઓ પર વિરામ મુકતા ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર જે.એન. વાઘેલાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે નાગરિકોને ખાતરી આપી છે કે જિલ્લામાં ઈંધણનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને જનતાએ સહેજ પણ ગભરાવવાની જરૂર નથી. 'ગાંધીનગરમાં ગેસ, પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક સંપૂર્ણપણે સુરક્ષિત'ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર જે. એન. વાઘેલાએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાતી અફવાઓને કારણે લોકોમાં બિનજરૂરી ગભરાટ ફેલાતો હોય છે, જેના પરિણામે પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળે છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ગાંધીનગર જિલ્લામાં ગેસ, પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક સંપૂર્ણપણે સુરક્ષિત છે. વહીવટી તંત્ર સતત તેલ કંપનીઓ અને વિતરકોના સંપર્કમાં છે, જેથી પુરવઠા સાંકળમાં કોઈ અવરોધ ન આવે. 'નગરજનોએ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી'કલેક્ટરે વધુમાં ઉમેર્યું કે, ગાંધીનગર જિલ્લાના નગરજનોએ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. તમામ પેટ્રોલ પંપ અને ગેસ એજન્સીઓ પાસે નિયમિત જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા આ બાબતે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. તેમણે લોકોને અપીલ કરી છે કે જરૂરિયાત મુજબ જ ખરીદી કરવી અને બિનજરૂરી સંગ્રહખોરીથી બચવું જેથી વ્યવસ્થા જળવાઈ રહે. ઈંધણની તંગી હોવાની વાતો માત્ર અફવા છેજિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઈંધણની તંગી હોવાની વાતો માત્ર અફવા છે. તમામ જનતાને જ્યારે પણ જરૂર હશે ત્યારે આવશ્યકતા મુજબનો પુરવઠો સરળતાથી મળી રહેશે. દૈનિક પ્રવૃત્તિઓ ચાલુ રાખવા અને તંત્રને સહકાર આપવા કલેક્ટરની અપીલઆથી, જાહેર જનતાને ગભરાટમાં આવ્યા વગર પોતાની દૈનિક પ્રવૃત્તિઓ ચાલુ રાખવા અને વહીવટી તંત્રને સહકાર આપવા માટે કલેક્ટર દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે. વહીવટી તંત્રના આ નિવેદનથી જિલ્લાના નાગરિકોમાં રાહતની લાગણી ફેલાઈ છે અને બિનજરૂરી અફવાઓ પર રોક લાગવાની અપેક્ષા છે.
ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં રાષ્ટ્રીય ચેતના જગાવનાર અને માતૃભૂમિ પ્રત્યેના ગૌરવનું પ્રતીક એવા રાષ્ટ્રગીત વંદે માતરમ ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વંદે માતરમ @ 150 વર્ષ (ફેઝ-2) અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે સુરત મહાનગરપાલિકાની તમામ કચેરીઓમાં સામૂહિક રાષ્ટ્રગીત ગાનનો કાર્યક્રમ યોજાયો હતો. 31 માર્ચ સુધી ઉજવણીનું આયોજનસને 1875માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન વંદે માતરમ ગીતે સમગ્ર દેશને એકતાના તાંતણે બાંધ્યો હતો. આ ગીત આજે પણ દરેક ભારતીય માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. આ ભવ્ય વારસાને ઉજવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા 23 માર્ચથી 31 માર્ચ, 2026 દરમિયાન વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. અધિકારીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રભક્તિના કાર્યક્રમમાં સહભાગી થયાઆજરોજ સવારે ન્યુ સીટીલાઈટ રોડ સ્થિત આઈ.સી.સી.સી. કચેરી ખાતે માનનીય મ્યુ. કમિશનર એમ. નાગરાજન (IAS)ની પ્રેરક ઉપસ્થિતિમાં વંદે માતરમ ગીતનું તેના મૂળ સ્વરૂપે ગાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મ્યુનિસિપલ અધિકારીઓ અને કર્મચારીઓએ મોટી સંખ્યામાં હાજર રહી રાષ્ટ્રભક્તિના આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. વંદે માતરમનો નાદ સાથે સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાયું માત્ર મુખ્ય કચેરી જ નહીં, પરંતુ સુરત મહાનગરપાલિકાની તમામ શાખાઓમાં આ કાર્યક્રમની ગુંજ જોવા મળી હતી. જેમાં મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તાપી ભવન તમામ ઝોન કચેરીઓ અને તમામ વિભાગો તેમજ વોર્ડ ઓફિસો અને હેલ્થ સેન્ટરો મસ્ક્તી હોસ્પિટલ, સ્મીમેર કોલેજ અને હોસ્પિટલ પરિસર આ તમામ સ્થળોએ અધિકારીઓ અને કર્મચારીઓએ એકસાથે મળીને રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું. વિવિધ કાર્યક્રમો દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રીય ચેતનાનો સંચારઆ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત રાખવાનો અને વંદે માતરમ ના માધ્યમથી મળેલી સ્વતંત્રતાના મૂલ્યોને યાદ કરવાનો છે. 31 માર્ચ સુધી ચાલનારી આ ઉજવણી અંતર્ગત હજુ પણ વિવિધ કાર્યક્રમો દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રીય ચેતનાનો સંચાર કરવામાં આવશે.
રાજકોટમાં ખાદ્યપદાર્થોમાં કરાતી ભેળસેળ સમયાંતરે સામે આવતી હોય છે. ત્યારે હવે શક્તિવર્ધક ગણાતા દૂધમાં પણ ભેળસેળ હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. તાજેતરમાં મનપાના ફૂડ ઓફિસરોએ મવડી બાયપાસ રોડ પર આવેલા ડીએમ પાર્ક-1, સોરઠિયાવાડી વિસ્તારમાં સ્થિત 'શ્રી રાધે ક્રિષ્ના ડેરી ફાર્મ'માંથી 'ફૂલ ક્રીમ મિલ્ક (લૂઝ)'નો નમૂનો લઈ લેબોરેટરીમાં મોકલ્યો હતો. જેને લેબ રિપોર્ટમાં સબસ્ટાન્ડર્ડ એટલે કે ફેઈલ જાહેર કરાયો છે. અહીંના દૂધમાં ફોરેન ફેટની ભેળસેળ હોવાનું ખુલતા મનપા દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફૂડ વિભાગની તપાસ દરમિયાન લેવામાં આવેલા આ નમૂનામાં ટેસ્ટ ફોર ફોરેન ફેટની માત્રા નિયત ધારાધોરણો કરતાં વધુ જોવા મળી હતી. આનો અર્થ એ થાય છે કે દૂધમાં કુદરતી ફેટના સ્થાને અન્ય કોઈ તેલ કે ચરબીની ભેળસેળ કરવામાં આવી હોવાની શક્યતા છે. ત્યારે ફૂડ એનાલિસ્ટના રિપોર્ટના આધારે નમૂનાને 'સબસ્ટાન્ડર્ડ' જાહેર કરી, ડેરી સંચાલક વિરુદ્ધ એજયુડિકેશન એટલે કે ન્યાયિક કાર્યવાહી કરવાની તજવીજ ફૂડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. ઉમિયાજી ડેરી ફાર્મમાંથી 'ફૂલ ક્રીમ મિલ્ક' ના નમૂના લેવાયાફૂડ વિભાગ દ્વારા આજે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ વધુ 3 શંકાસ્પદ નમૂનાઓ લઈ લેબોરેટરીમાં મોકલ્યા છે. જેમાં વાવડી વિસ્તારના 80 ફૂટ રોડ પર આવેલી મધુવન ડેરી ફાર્મ અને ઉમિયાજી ડેરી ફાર્મમાંથી 'ફૂલ ક્રીમ મિલ્ક' ના નમૂના લેવાયા છે, તેમજ રૈયા રોડ પર જનકપુરી ખાતે આવેલી જય દ્વારકાધીશ ડેરી ફાર્મમાંથી ગાયના દૂધનો નમૂનો લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ફૂડ વિભાગની ટીમે FSW (ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ) વાન સાથે શહેરના રાજમાર્ગો પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં સાધુવાસવાણી મેઇન રોડ તેમજ યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારોમાં પણ ખાદ્યચીજોનું વેચાણ કરતા કુલ 23 ધંધાર્થીઓને ત્યાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. તેમજ ક્રિષ્ના પાણીપુરી, દેવ પાણીપુરી, ગાત્રાળ ટી સ્ટોલ નામના ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ મેળવવા કે રિન્યૂ કરાવવાની કડક સૂચનાઓ આપવામાં આવી હતી. પૂર્વ કોર્પોરેટરોનાં પ્રમાણપત્રના આધારે અંતિમવિધિ માટે ફાયર સ્ટેશનથી મંજૂરી મેળવી શકાશેરાજકોટ મહાનગરપાલિકામાં ચૂંટાયેલા શાસકોની મુદત પૂર્ણ થઈ હોવાથી વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે. વહીવટી ફેરફાર વચ્ચે નાગરિકોને મરણ નોંધણીમાં મુશ્કેલી ન પડે તે માટે રજીસ્ટ્રાર (જન્મ-મરણ) અને આરોગ્ય અધિકારી દ્વારા મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જે મુજબ, શહેરમાં 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોના અવસાનના કિસ્સામાં હવે પૂર્વ કોર્પોરેટરોના પ્રમાણપત્રો પણ માન્ય રાખવામાં આવશે. સામાન્ય રીતે 60 વર્ષથી ઉપરની વ્યક્તિનું વૃદ્ધાવસ્થાના કારણે અવસાન થાય ત્યારે વિસ્તારના કોર્પોરેટરનું પ્રમાણપત્ર રજૂ કરી નજીકના ફાયર સ્ટેશનમાં નોંધણી કરાવવાની પ્રક્રિયા હોય છે. હાલમાં નવા કોર્પોરેટરોની નિમણૂક ન થાય ત્યાં સુધી, ખાસ કરીને આકસ્મિક સંજોગોમાં કે મોડી રાત્રિના સમયે થતા મૃત્યુ માટે, જે કોર્પોરેટરોની મુદત પૂર્ણ થઈ છે તેવા પૂર્વ કોર્પોરેટરો દ્વારા આપવામાં આવેલા મરણ અંગેના પ્રમાણપત્રો ફાયર સ્ટેશનમાં સ્વીકારવામાં આવશે. આ પ્રમાણપત્ર જોડીને મૃતકના સગા અંતિમવિધિ માટેની જરૂરી મંજૂરી મેળવી શકશે. જોકે દિવસ દરમિયાન એટલે કે સવારના 9 કલાકથી સાંજના 6 કલાક સુધીના સમયગાળામાં લોકોએ નજીકના આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરનો સંપર્ક કરવાનો રહેશે, જે મૃત્યુ અંગેનું પ્રમાણપત્ર આપશે. અંતિમ સંસ્કારની પ્રક્રિયામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે આ નવી વ્યવસ્થા અંગે તમામ ફાયર સ્ટેશનોને સૂચના આપી દેવામાં આવી છે. રામનવમી-મહાવીર જયંતિના તહેવારોમાં કતલખાના બંધ રાખવા આદેશરાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આગામી ધાર્મિક તહેવારોને ધ્યાનમાં રાખી મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ, તારીખ 26/03/2026 ના રોજ 'રામનવમી' અને તારીખ 31 માર્ચ 2026 ના રોજ 'મહાવીર જયંતિ'ના પવિત્ર તહેવારો નિમિત્તે રાજકોટ મહાપાલિકાના વિસ્તારમાં આવેલા તમામ પ્રકારના કતલખાનાઓ સંપૂર્ણપણે બંધ રાખવાના રહેશે. આ ઉપરાંત, આ બંને દિવસો દરમિયાન શહેરના કોઈપણ વિસ્તારમાં માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેચાણ કરવા પર સખત પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તહેવારોની ગરિમા જળવાય તે હેતુથી તંત્ર દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશનો અમલ ચુસ્તપણે થાય તે માટે કમિશનર તુષાર સુમેરા દ્વારા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. સંબંધિત તમામ વેપારીઓએ આ જાહેરનામાનું પાલન કરવાનું રહેશે. જો કોઈ વ્યક્તિ કે સંસ્થા આ જાહેરનામાનો ભંગ કરતા જણાશે, તો તેમની સામે ધી જી.પી.એમ.સી. એક્ટ-1949 ની કલમ 329 અને 336 તેમજ રાજકોટ મહાનગરપાલિકાના બાયલોઝ મુજબ કડક ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ગોધરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ના ચેરમેન પદે માલવદીપસિંહ રાઉલજીની બિનહરીફ વરણી કરવામાં આવી છે. આજે યોજાયેલી વરણી પ્રક્રિયામાં તેમની સર્વસંમતિથી પસંદગી થઈ હતી. માલવદીપસિંહ રાઉલજી ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીના પુત્ર છે. તેમની વરણીના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં સમર્થકો, APMC ના સભ્યો અને ટેકેદારો ગોધરા APMC ખાતે એકઠા થયા હતા. ઉપસ્થિત લોકોએ નવનિયુક્ત ચેરમેનને ફૂલહાર પહેરાવી અને મીઠાઈ ખવડાવી શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે સ્થાનિક રાજકીય અગ્રણીઓ અને સહકારી ક્ષેત્રના આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બિનહરીફ વરણી બાદ માલવદીપસિંહ રાઉલજીએ તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ખેડૂતો અને વેપારીઓના હિતમાં પારદર્શક વહીવટ કરવાની ખાતરી આપી હતી.
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની દરુણિયા સરકારી માધ્યમિક શાળાના દિવ્યાંગ શિક્ષિકા આલિયા ખાને રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તેમણે ઓડિશાના ભુવનેશ્વર ખાતે યોજાયેલી 24મી રાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સ સ્પર્ધા 2026માં ગોળાફેંક સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આલિયા ખાન એક હાથે દિવ્યાંગ હોવા છતાં, તેમણે ક્યારેય હાર માની નથી. બે બાળકોની માતા તરીકે, જેમાં એક બાળક એક વર્ષથી પણ નાનું છે, તેમણે નાના બાળકની જવાબદારી, ઘરકામ અને શાળામાં શિક્ષિકા તરીકેની ફરજ નિભાવવાની સાથે મેદાન પર સઘન પ્રેક્ટિસ કરીને આ સિદ્ધિ મેળવી છે. આલિયાબેન માત્ર રમતગમતના મેદાન પર જ નહીં, પરંતુ વર્ગખંડમાં પણ એક આદર્શ શિક્ષક છે. તેઓ શાળાના વિદ્યાર્થીઓને ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે છે અને માર્ગદર્શન પૂરું પાડે છે. રમતગમત પ્રત્યેની તેમની રુચિને કારણે તેમણે અત્યાર સુધીમાં ૬ રાષ્ટ્રીય મેડલ જીત્યા છે, જેમાં ગુજરાતના ખેલ મહાકુંભમાં પણ નોંધપાત્ર સિદ્ધિઓ સામેલ છે. આલિયા ખાનની આ સિદ્ધિ બદલ જિલ્લા કલેક્ટર અજય દહિયા, જિલ્લા શિક્ષણાધિકારી કિરીટ પટેલ અને શાળાના આચાર્ય આસિફ મન્સૂરીએ તેમને અભિનંદન પાઠવ્યા છે. તેમની આ સફળતા સમાજને પ્રેરણા આપે છે કે દ્રઢ નિશ્ચય અને મહેનતથી શારીરિક મર્યાદાઓ કે પારિવારિક જવાબદારીઓ સપના પૂરા કરવામાં અવરોધ બનતી નથી.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા મતદારોને રિઝવવા માટેના કોંગ્રેસ દ્વારા અલગ અલગ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા છે. શહેરમાં યુથ કોંગ્રેસ દ્વારા વધતી મોંઘવારીને મુદ્દો બનાવી સરકાર વિરુદ્ધ અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શાહપુર દરવાજા બહાર યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ બેનર-પોસ્ટર સાથે દેખાવો કર્યો હતો. ભાજપના વચન ખોટા, મોંઘવારીના મારના મોટા બેનર સાથે બળદ ગાડા પર બેસી સરકાર હાય હાયના નારા લગાવ્યા હતા. ખાલી ગેસ સિલિન્ડર અને ખાલી તેલના ડબ્બા લઈને રસ્તો રોકતા પોલીસ દ્વારા યુથ કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા મોંઘવારીનો મુદ્દે વિરોધ પ્રદર્શનસ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે સક્રિય બન્યા છે, ત્યારે કોંગ્રેસ દ્વારા પણ શહેરના તમામ વોર્ડના સ્થાનિકોના મુદ્દે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારીનો મુદ્દો ઉઠાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. શાહપુર દરવાજા બહાર યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ મોદી આવ્યા, મોંઘવારીના લાવ્યા જેવા સૂત્રો સાથે પોસ્ટર લઈને દેખાવો કર્યો હતો. ભાજપના વચન ખોટા, મોંઘવારીના માર મોટા જેવા બેનરો સાથે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ નારા પણ લગાવ્યા હતા. ભાજપ હાય હાયના સૂત્રોચ્ચાર સાથે યુથ કોંગ્રેસ રસ્તા પર ઉતરીયુથ કોંગ્રેસે બળદ ગાડા સાથે સરકારની નીતિઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો. યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખાલી તેલના ડબ્બા અને ખાલી ગેસ સિલિન્ડરની બોટલ લઈને હાય રે મોંઘવારી હાય હાયના નારા પણ લગાવ્યા હતા. બળદ ગાડા પર બેસીને મોંઘવારી મુદ્દે વિરોધ દર્શાવ્યો હતો. ભાજપ હાય હાય જેવા સૂત્રોચ્ચાર સાથે યુથ કાર્યકર્તાઓએ રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલીસે યુથ કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓની અટકાયત કરીયુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ ગેસ સિલિન્ડર, તેલ સહિતની બોટલ સાથે રસ્તો પર બેસી ગયા હતા. રસ્તો બ્લોક કરીને મોંઘવારી કાબૂમાં લાવવવા માંગ કરી હતી. યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ રસ્તો રોકી લેતા ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. જે બાદ પોલીસે દ્વારા યુથ કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી. જો કે મોંઘવારી વિશે સરકાર નહીં વિચારે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
અમેરિકા પાસે એક એવું સિક્રેટ હથિયાર છે જેના ઈશારે તે અત્યારે આખી દુનિયાને નચાવી પણ રહ્યું છે અને રાજ પણ કરી રહ્યું છે. આ હથિયાર એટલે પેટ્રો ડોલર. પણ તેલ એટલે ડોલરનો 50 વર્ષ જૂનો નિયમ ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં એક્સપાયરી ડેટ પર આવી ગયો હોય તેવો માહોલ બની રહ્યો છે. ક્રુડ ઓઈલના ભાવમાં લાગેલી આગ ખાલી બજાર સુધી જ નથી પણ ડોલરના સામ્રાજ્યમાં પણ બારૂદ બનીને સળગાવી રહી છે. ઈરાનને બરબાદ કરવાના ઈરાદાથી ઈઝરાયલ સાથે યુદ્ધમાં પડેલા ટ્રમ્પે જે જુસ્સાથી યુદ્ધની શરૂઆત કરી અત્યારે તેનું સૂરસૂરિયું થઈ રહ્યું છે અને થોડા દિવસો યુદ્ધ વિરામની વાત રાખવી પડી છે. પણ સૌથી ચોંકાવનારી વાત તો ઈરાનથી એ સામે આવી છે કે ભારતના જે શિપમેન્ટ ઈરાન પાસેના હોર્મુઝ સ્ટ્રેટ પાસેથી પસાર થતા હતા તેનું પેયમેન્ટ ચીની કરન્સીમાં કરાયાની વાતો થઈ રહી છે. આજે વાત કરીએ ડોલર ડોમિનન્સની અને ડોનાલ્ડ ટ્રમ્પ સામે મોરચો માંડનાર હિલેરી ક્લિન્ટનના એનાલિસિસ વિશે. સાથે જ સમજીશું કે કેવી રીતે ડોલરે સદ્દામથી ગદ્દાફી સુધીની લાશો બિછાવી.... નમસ્કાર... આ બધુ જાણવા માટે આપણે પહેલા પેટ્રો ડોલરને સમજવું પડશે. આ સિસ્ટમનો પાયો 1970ના દાયકાની શરૂઆતમાં નખાયો. અમેરિકા અને સાઉદી અરેબિયા વચ્ચે એક હિસ્ટોરિકલ ડિલ થઈ. જે મુજબ સાઉદી અરેબિયા તેનું તેલ માત્ર ડોલરમાં જ વેચશે અને બદલામાં અમેરિકા સાઉદીને એડવાન્સ અત્યાધુનિક મિલિટરી સિક્યોરિટી, હથિયારો અને પોલિટિકલ સ્ટેબિલિટીની ગેરંટી આપશે. એટલે પેટ્રો ડોલરનો જન્મ થયો આવું એટલા માટે થયું કારણ કે 1971માં અમેરિકાના પ્રેસિડેન્ટ રિચાર્ડ નિક્સને ડોલરને સોના સાથે જોડતી સિસ્ટમને ખતમ કરી દીધી. જેના લીધે ડોલરનું વર્ચસ્વ જોખમમાં મૂકાયું. જેના કારણે આ ડિલ પાર પડી. આ જ કારણે અમેરિકા આજે વિશ્વની સૌથી શક્તિશાળી ઈકોનોમી છે. ત્યારે તેમણે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું જે ઐતિહાસિક બની ગયું છે. તેમણે કહ્યું હતું કે, “હવેથી અમેરિકન ડોલરની કિંમત સોનામાં નહીં, પણ અમેરિકાની શક્તિમાં મપાશે. આ ડિલ જોઈને ક્રુડ ઓઈલવાળા દેશોએ પણ અમેરિકાનું મોડલ અપનાવ્યું અને 1970થી પેટ્રો ડોલરના યુગની શરૂઆત થઈ. હવે પેટ્રો ડોલર કેવી રીતે કામ કરે છે અને તેનાથી અમેરિકાને કેવી રીતે ફાયદો થાય છે તે પણ સમજીએ. પણ... પણ... પણ... 28 ફેબ્રુઆરી 2026ના ઈઝરાયલ ઈરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. ડોનાલ્ડ ટ્રમ્પને લાગ્યું કે ઈરાનનો સત્તા પલટો કરવાની આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કારણ કે ઈરાની લોકો પણ શાસનથી કંટાળ્યા છે. અને પછી હુમલા શરૂ થયા. શરૂઆતમાં ટ્રમ્પને એવું હતું કે ઈરાન હાર માની લેશે એટલે યુદ્ધના જ દિવસે દુનિયા સામે આવીને ટ્રમ્પે કહ્યું કે યુદ્ધ લાંબુ નહીં ચાલે. અમારે ઈરાનનો ન્યુક્લિયર પ્રોગ્રામ તબાહ કરવો છે અને હુથી, હમાસ અને હિઝબુલ્લાહ જેવા પ્રોક્સી નેટવર્કનો સફાયો કરવો છે. ત્યારે ટ્રમ્પે પાંચ વાત ધારી હતી. પણ ટ્રમ્પના ફેંકેલા પત્તા ઊંધા પડ્યાં. જે યુદ્ધ અમેરિકાની જીતથી ખતમ થવાનું સપનું હતું તેણે અમેરિકાને આર્થિક અને લશ્કરી ફટકો આપ્યો. અમેરિકા અને ઈઝરાયલે ઈરાનની ટોપ લીડરશીપનો તો ખાત્મો બોલાવ્યો પણ ઈરાની સેનાના મૂળિયા ન ઉખાડી શક્યું. આટલા નુકસાન બાદ પણ ઈરાન પડીને બેઠું થતું રહ્યું અને અમેરિકાના ઈરાની પરમાણું સાઈટ્સ નાશ કર્યાના દાવાઓ વચ્ચે ઈરાન ફરી-ફરીને ઈઝરાયલ, અમેરિકન બેઝ અને પાડોશી દેશો પર હુમલાઓ કરતું રહ્યું. આ યુદ્ધ અમેરિકા માટે આર્થિક અને લશ્કરી દલદલ બની ગયું. શું છે બ્રિક્સ સંગઠન? હવે આ મુદ્દાને થોડું બીજી બાજુ લઈ જઈએ અને વધુ એક એંગલથી સમજીએ. દુનિયાના દેશો પોતાનો પાવર દેખાડવા માટે અલગ-અલગ જૂથ બનાવે છે આપણે ત્યાં સોસાયટીઓમાં મંડળ બને છે તે જ રીતે. એમાનું એક જૂથ એટલે બ્રિક્સ. જેમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, સાઉદી અરેબિયા, UAE, ઈજિપ્ત, ઈથોપિયા, ઈન્ડોનેશિયા અને ઈરાન જેવા દેશો કાયમી સભ્યો છે. જ્યારે બેલારુસ, બોલિવિયા, ક્યુબા, કઝાકિસ્તાન, મલેશિયા, નાઈજીરીયા, થાઈલેન્ડ, યુગાન્ડા, ઉઝબેકિસ્તાન અને વિયેતનામ પાર્ટનર દેશો છે. ટ્રંપની બ્રિક્સને 100% ટેરિફની ધમકી આ દેશો એક શક્તિશાળી જૂથ તરીકે ઉભરી આવ્યા છે. બ્રિક્સ પાસે દુનિયાના 40 ટકા ક્રુડ ઓઈલ પ્રોડક્શનનો હિસ્સો છે. જે પોતે તેલ વેચવા અને વેપાર કરવા માટે પોતાની એટલે કે બ્રિક્સ કરન્સી બનાવવાનો પ્લાન કરી રહ્યા હતા. જો આવું થાય તો દુનિયામાં ડોલર ડોમિનન્સને મોટો ફટકો પડે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને આ ગમ્યું નહીં. તેણે ડિસેમ્બર 2024માં જાહેરાત કરી કે, જે દેશો ડોલરને નબળો પાડવા માટે નવી બ્રિક્સ કરન્સી બનાવશે અથવા ટેકો આપશે તેમને અમેરિકન બજારમાં માલ વેચવા પર 100% ટેરિફનો સામનો કરવો પડશે. કાં તો ડોલર સાથે રહો અથવા અમેરિકા સાથે વેપાર ભૂલી જાઓ. અમેરિકાના પેટ્રો ડોલરનો પાયો હલ્યો? બ્રિક્સ દેશોની આ ધમકીનો અર્થ એવો હતો કે પેટ્રો ડોલર સિસ્ટમમાંથી કોઈ પણ દેશ એક્ઝિટ ન કરે. પણ આ ધમકીએ બ્રિક્સ દેશોને વધુ નજીક લાવી. યુક્રેન યુદ્ધ બાદ રશિયાની ડોલર સંપત્તિ ફ્રિઝ કરાતા રશિયાએ ડિડોલરાઈઝેશનને તેજ બનાવી. આ બનાવ બાદ એક્સપર્ટ્સનું કહેવું છે કે પેટ્રો ડોલર સિસ્ટમ હવે પહેલા જેવી મજબૂત નથી રહી. ઈન્ટરનેશનલ મોનિટરી ફંડની સ્ટડી કહે છે કે, ગ્લોબલ રિઝર્વેશનમાં ડોલરનો હિસ્સો 71%થી ઘટીને 56%થી નીચે પહોંચી ગયો છે. IISSની સ્ટડી કહે છે કે, રશિયાના અનામત જપ્ત કરવાથી ડોલર પરનો વિશ્વાસ બીજા દેશોને ઘટ્યો છે. લોકો સેફ હેવન માટે સોના પર ભરોસો વધારી રહ્યા છે. રિસર્ચ ગેટની સ્ટડીમાં સામે આવ્યું કે, અમેરિકાનું 38 ટ્રિલિયન ડોલરનું દેવું અને વ્યાજની ચૂકવણી પેટ્રોડોલરની સ્ટેબિલિટી માટે મોટો ખતરો છે. ગ્રીન સેન્ટ્રલ બેંકિંગએ તારણ આપ્યું કે, રિન્યુએબલ એનર્જીના કારણે તેલની માગ ઘટતા ડોલરનું ડોમિનેન્સ કુદરતી રીતે નીચું આવશે. ટ્રમ્પના પાસા ઉંધા પડ્યા આ બધા વચ્ચે ટ્રમ્પને એવું હતું કે ઈરાન સાથે યુદ્ધ કરીને તે તેલ માફિયા બનશે પણ યુદ્ધના પહેલા જ અઠવાડિયામાં તેલના ભાવમાં આગ લાગતા ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની ગણતરીઓ ઊંધી પડી. ઈરાનના વળતા હુમલા અને હોર્મુઝ બંધ કરતા ક્રુડ ઓઈલની ગ્લોબલ સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ. સૌથી શક્તિશાળી દેશ 3 અઠવાડિયામાં ઘૂંટણીએ દુનિયામાં તેલ-ગેસની સંકટ જેવી પરિસ્થિતિઓ બની અને અમેરિકામાં ગેસોલિનના ભાવ આસમાને પહોંચ્યાં. જેના કારણે ટ્રમ્પ પર અમેરિકન રાજકીય દબાણ વધ્યું. ટ્રમ્પને લાગ્યું કે પેટ્રો ડોલરની ધાર બુઠ્ઠી થવા જઈ રહી છે. અને ટ્રમ્પે યુદ્ધ જીત્યા વિના પોતાની સ્વઘોષિત વિક્ટ્રી જાહેર કરીને થોડા દિવસો માટે યુદ્ધ રોકવા દુનિયામાં જાહેરાત કરી. જે ટ્રમ્પ યુદ્ધ પહેલા ઈરાનને ધૂળ ચખાડી દેશું જેવા મોટા-મોટા ડિંગા હાંકતા હતા તે ખાલી 3 જ અઠવાડિયામાં બેકફૂટ પર કેમ આવ્યાં? તેને 5 રીતે સમજીએ. ગ્લોબલ એનર્જી શોક અને ઓઈલ પ્રાઈઝ યુદ્ધમાં ભારે નુકસાન થવાની આશંકાઓ વચ્ચે ઈરાને અમેરિકાને જુકાવવા તેલનો સહારો લીધો અને હોર્મુઝ સ્ટ્રેટ કે જ્યાંથી દુનિયાનું મોટા ભાગનો તેલ અને ગેસનો જથ્થો જાય છે તેને બંધ કર્યો. અમેરિકા સહિત મોટા ભાગના દેશોમાં તેલ-ગેસની તંગી ઉભી થઈ અને ગ્લોબલ ઈકોનોમી હલી ગઈ. હવે પેટ્રોલ-ડીઝલ કે ગેસની કિંમતો વધે તો આવનાર મીડ ટર્મ ઈલેક્શનમાં ટ્રમ્પની સરકારને પણ ભારે ફટકો પડે તેવી શક્યતા છે. નેતન્યાહુનું ઉતાવળાપણું ટ્રમ્પને ન ગમ્યું બીજું કે, શરૂઆતમાં ટ્રમ્પ નેતન્યાહુ સાથે ખભેખભો મિલાવીને ઈરાન સામે યુદ્ધમાં જોતરાયા હતા. પણ બંને વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગમાં તાલમેલ બગડ્યો. અમેરિકા જાણે છે કે ઈરાનના ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખતરો આવશે તે ગ્લોબલ ઈકોનોમીને ભારે નુકસાન થશે. સામેની બાજુ નેતન્યાહુ એટલે કે ઈઝરાયલને ઈરાની ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મૂળથી ખતમ કરવું હતું. ટ્રમ્પ ઈરાનમાં સત્તા પરિવર્તન ન કરાવી શક્યા ત્રીજું કે, ઈઝરાયલ અને અમેરિકાને ઈરાનની ટોપ લીડરશીપને ખતમ કર્યા બાદ સત્તા પલટો કરાવવો હતો અને નેતાઓને પોતાના કન્ટ્રોલમાં કરવા હતા. પણ એવું થયું નહીં. શિયા આયાતોલ્લાહની હત્યા કરતા ઈરાની લોકોની ધાર્મિક લાગણી દુઃભાઈ અને લોકો અમેરિકાના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા. ટ્રમ્પને એવું હતું કે લોકો વિરોધ કરશે અને સત્તા પલટાવશે પણ એવું થયું નહીં. યુદ્ધમાં જાનહાની અને અમેરિકાનો વધતો ખર્ચો ચોથું કે, ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાના 13 સૈનિકો શહીદ થયા છે અને ઘણા ઘાયલ થયા છે. કતારથી ઓમાન સુધીના અમેરિકન બેઝ પર ઈરાને નિશાનાઓ લઈને મિસાઈલ હુમલા કર્યા છે જેના કારણે અમેરિકાને ઘણું નુકસાન થયું છે. અમેરિકા પર હવે દબાણ વધ્યું છે કે યુદ્ધ મોંઘું પડી શકે છે અને યુદ્ધમાં વધુ રૂપિયા નાખી શકે તેવી કન્ડિશનમાં અમેરિકા છે પણ તે ખર્ચશે નહીં. પીસ બ્રોકરની છબી બચાવવાનો મરણિયો પ્રયાસ પાંચમું અને છેલ્લું એ કે, ટ્રમ્પે નોબલ પ્રાઈઝ માટે ઘણા ધમપછાડા કર્યા હતા જો કે મળ્યો ન હતો. તે પોતાની જાતને પીસ બ્રોકર કહેતા રહ્યા પણ નોબલ સમિતિએ મારિયા મચાડોને નોબલ પીસ પ્રાઈઝ આપીને ટ્રમ્પને દુનિયા સામે શરમમાં મૂકી દીધા. પોતાની પીસ બ્રોકરની છબીને બરકરાર રાખવા ટ્રમ્પે એવો માહોલ ઉભો કર્યો કે યુદ્ધ લગભગ પૂરું થયું છે અને અમેરિકા જીતી ગયું છે. જેથી સન્માનજક રીતે અમેરિકા યુદ્ધમાંથી પીછેહઠ કરી શકે. અમેરિકાની ઈરાન સાથે બંધ બારણે ચર્ચા? ટ્રમ્પ ભલે યુદ્ધ રોકવાની વાતો કરે, પણ પડદા પાછળ તેમના ખાસ વિશ્વાસુ સ્ટીવ વિટકોફ અને ટ્રમ્પના જમાઈ જેરેડ કુશ્નર ઈરાની નેતા ગાલિબાફ સાથે સિક્રેટ શાંતિ વાટાઘાટો કરી રહ્યા છે. આ વાટાઘાટો માત્ર યુદ્ધ રોકવા માટે નથી, પણ મિડલ ઈસ્ટમાં ફરી અમેરિકાનું ઈકોનોમિક વર્ચસ્વ વધારવા માટે છે. પણ આપણે એ પણ સમજવું પડે કે યુદ્ધ વિશે અમેરિકાના વિપક્ષનું શું કહેવું છે? અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને બ્રુકિંગ્સ ઈન્સ્ટિટ્યુશનમાં યુદ્ધ મામલે ભાષણ આપ્યું. તેમણે ટ્રમ્પની ફોરેન પોલિસીને કેઓસ ગણાવી તેમણે કહ્યું કે, હિલેરી ક્લિન્ટને ટ્રમ્પને પણ આડે હાથ લીધા. તેમણે કહ્યું કે, “ટ્રમ્પનું મેનેજમેન્ટ બુદ્ધિશક્તિ કરતાં વ્યક્તિગત લાગણીઓ પર વધુ આધારિત છે, જે અમેરિકાની વિશ્વસનીયતાને નષ્ટ કરી રહ્યું છે.” હવે આપણે એ ભયાનક લોહિયાળ ઈતિહાસને પણ યાદ કરીએ જેમાં વિશ્વના નેતાઓએ ડોલરના ડોમિનન્સને પડકાર્યો અને બદલામાં મોત કે બીજી કોઈ વસ્તું મળી. ડોલરના બદલામાં યુરો અને સદ્દાનો ખાત્મો વર્ષ 2000ના નવેમ્બર મહિનામાં સદ્દામ હુસૈને જાહેરાત કરી હતી કે તે તેલના બદલામાં ડોલર નહીં પણ યુરો લેશે. અમેરિકાએ તેમનો ખાત્મો બોલાવ્યો અને 2003માં આક્રમણ પછી ઈરાકી તેલના વેચાણને ફરી ડોલરમાં ફેરવી. ડોલરે ગદ્દાફીનો કેવી રીતે ભોગ લીધો? વર્ષ 2011માં લિબિયાના શાસક મુઆમ્મર ગદ્દાફીએ પૂરા આફ્રિકા માટે ડોલરની જગ્યાએ તેલ ખરીદવા માટે ગોલ્ડ દિનાર નામનું સોનાનું ચલણ લાવવાની થિયરી આપી હતી. 2011માં નાટોના હસ્તક્ષેપ પછી ગદ્દાફીની હત્યા થઈ અને આ પ્રોજેક્ટ જ લિબિયાની ધરતીમાં દાટી દેવામાં આવ્યો. અડધી રાતે અમેરિકાએ માદુરોને ઉઠાવ્યા વર્ષ 2017થી વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો ડોલર વગરનો વેપાર અને ક્રિપ્ટોકરન્સીથી ક્રુડ ઓઈલ વેચવાનો પ્રયાસ કરતા હતા. જેના કારણે હમણા જ અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કર્યો અને માદુરોને પકડીને અમેરિકા લઈ ગયું. જો કે તેના પહેલા અમેરિકાએ વેનેઝુએલા પર એટલા આકરા પ્રતિબંધો લગાવ્યા હતા કે વેનેઝુએલાનું અર્થતંત્ર જ પાયમાલ થઈ ગયું હતું. ઇતિહાસ સાક્ષી છે કે જેણે ડોલરને પડકાર્યો છે, તેને અમેરિકાએ ક્યાં તો નકશામાંથી ભૂંસી નાખ્યો છે અથવા તો અર્થતંત્રના પાતાળમાં ધકેલી દીધો છે. હા! તે દેશને બરબાદ કરવાના કે નેતાઓને પતાવી દેવાના કારણ અમેરિકા અલગ-અલગ આપે છે પણ મૂળમાં તો પેટ્રોડોલર વોર થિયરી જ હોય છે. 20 વર્ષ લાંબી ઈરાની ડિ-ડોલરાઈઝેશન નીતિ હવે વારો ઈરાનનો છે. 20 વર્ષની લાંબી મથામણ પછી ઈરાને 2026 પહેલા પોતાની ઈકોનોમીને ડોલરથી અલગ કરી દીધી હતી. 2007માં ઈરાને તેલ વેચવા માટે ડોલર સિવાયની કરન્સીની માગણી શરૂ કરી. 2012માં ઈરાને ડોલરમાં વેપાર કરવાનું જ બંધ કરી દીધું. વર્ષ 2023 સુધીમાં તો ઈરાનનું 80 ટકાથી વધુનું તેલ વેચાણ ડોલર સિવાયની કરન્સીમાં જ થતું હતું. ઈરાન સાથે વેપાર કરવા ચીનનું સિક્રેટ પેમેન્ટ નેટવર્ક અને હવે ઈઝરાયલ-ઈરાન યુદ્ધના સૌથી મહત્વના અને બહુ ઓછા લોકોને ખબર છે તેવા પાસાની વાત કરીએ. ઈરાનનું સૌથી વધુ તેલ એટલે કે લગભગ 90 ટકા જેટલો હિસ્સો ચીન ખરીદે છે. ચીન આ તેલનું પેયમેન્ટ પોતાની કરન્સી યુઆનથી કરે છે. પેયમેન્ટ માટે બેંક ઓફ કુનલુન જેવી રેસ્ટ્રિક્શન વગરની બેંક્સથી થાય છે. અને ચુક્સિન નામનું એક સિક્રેટ ફાયનાન્શિયલ નેટવર્ક ચીન અને ઈરાને ઉભું કર્યું છે. આ જ નેટવર્કથી ચીન ઈરાન પાસેથી દર વર્ષે અબજો ડોલરનું તેલ ખરીદે છે અને એવી રીતે પેમેન્ટ કરે છે કે અમેરિકાને ગંધ પણ ન આવે. કહેવાય છે કે આ ખેલ પાછલ ચીન અને ઈરાનનો 400 અબજ ડોલરનો 25 વર્ષનો કરાર થયો છે. જે જહાજો હોર્મુઝમાંથી નીકળે છે તેને ઈરાન ધમકી આપે છે કે જો યુઆનમાં પેયમેન્ટ કરશો તો જ જવા દઈશું. આ પેટ્રો ડોલરની શબપેટીનો છેલ્લો ખિલ્લો પણ સાબિત થઈ શકે છે. બિટકોઈન અને ઈરાનનો વેપાર ખેલ ભારતની વાત કરીએ તો આપણે ઈરાની તેલ રૂપી-રિયાલ મેકેનિઝમથી કરતા હતા. માત્ર આટલું જ નહીં ઈરાન ઘણીવાર બીજા દેશોને તેલ આપતું હતું અને બદલામાં હથિયારો કે મશીનરી લેતું હતું. વર્ષ 2024 સુધીમાં તો ઈરાન વિશ્વના સાડા ચાર ટકા બિટકોઈન માઈનિંગનું સેન્ટર બની ગયું હતું, જેનો ઉપયોગ તે આયાત માટે કરતું હતું. હોર્મુઝ સ્ટ્રેટઃ ફસાયેલા ભારતીય જહાજોની કહાની હવે વાત આપણા હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા ભારતીય જહાજો વિશે કરીએ. માર્ચના શરૂઆતમાં જ્યારે ઈરાને હોર્મુઝ જળમાર્ગ બ્લોક કર્યો ત્યારે દુનિયા સહિત ભારતમાં પણ તેલ-ગેસની મોટી કટોકટી ઉભી થઈ. ભારતના 37-38 જેટલા તેલ-ગેસ ભરેલા મોટા જહાજો ગલ્ફમાં ફસાઈ ગયા હતા. જો કે પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન સાતે વાતચીત કરી અને નંદાદેવી અને શિવાલિક જેવા LPG ટેન્કર્સને ઈરાને ભારત આવવા માટે જવા દીધા. આટલું જ નહીં જગ વસંત, જગ લાડકી અને પાઈન ગેસ નામના એલપીજી ટેન્કર પણ 20 માર્ચે પછી હજોરમેટ્રિક ટન ગેસ લઈને હોર્મુઝ ઓળંગ્યા હતા. ઈરાનને યુદ્ધમાં મદદ કરનાર ચીન? પણ આ વચ્ચે સોશિયલ મીડિયા પર એવા રિપોર્ટ્સ સામે આવ્યા કે આ જહાજોને ઈરાને ત્યારે જવા દીધા જ્યારે ચૂકવણું યુઆનમાં થયું. આપ જાણો છો કે યુઆન કયા દેશની કરન્સી છે. આ વચ્ચે એવી વાતો સામે આવી કે ઈરાનને યુદ્ધ લડવા માટે છૂપી રીતે ચીન જ મદદ કરી રહ્યું છે. જો કે ભારતીય વિદેશ મંત્રાલયે યુઆન પેયમેન્ટ મામલે જે અહેવાલો સામે આવ્યા હતા તેને બેઝલેસ ગણાવ્યા હતા અને ફગાવી દીધા હતા. ભારતની નવી એનર્જી પોલિસી આ બધી પરિસ્થિતિમાંથી આપણે એટલે કે ભારતે મોટો બોધપાઠ લીધો છે. ભારત માત્ર હોર્મુઝ સ્ટ્રેટ પરથી વેપાર કરતું હતું તેણે પોતાનો દાયરો વધાર્યો છે. પહેલા આપણે 27 દેશો પાસેથી તેલ-ગેસ ખરીદતા હતા જે હવે એનર્જી ઈમ્પોર્ટ પોલિસીમાં બદલાવ બાદ 41 દેશો થઈ ગયા છે. આપણે હવે 70% ક્રુડ ઓઈલ એવા દરિયાઈ રસ્તાઓ પરથી મગાવીએ છીએ જે હોર્મુઝ સ્ટ્રેટથી પસાર નથી થતાં. રિપોર્ટ્સ મુજબ ભારત પાસે હાલ 74 દિવસનો તેલનો જથ્થો છે. જે આપણે કટોકટીના સમયે કામ લાગશે. વેપાર અને પેમેન્સ સિસ્ટમનું ગણિત આપણે ડોલરના ડોમિનન્સને બાયપાસ નથી કરતા પણ આપણા દેશને કોઈ સમયે તકલીફ ન આવે તે માટે અલગ-અલગ ચલણમાં તેલ ખરીદીએ છીએ. બ્રિક્સના દેશો એકબીજાના પેમેન્ટ સિસ્ટમને જોડી શકાય તેવી ટ્રાય કરી રહ્યા છે. જેમ કે ભારતની UPI અને ચીનની CIPS પેમેન્ટ સિસ્ટમને એકબીજા સાથે જોડવી. RBIએ બ્રિક્સ દેશોની ડિજિટલ કરન્સીને એક પ્લેટફોર્મ પર લાવવા માટે પ્રસ્તાવ મૂક્યો છે. ભારત અત્યાર સુધીમાં 22 દેશો સાથે સ્પેશિયલ રૂપી વોસ્ટ્રો એકાઉન્ટ્સ નામના એકાઉન્ટ ખોલી ચૂક્યું છે જેથી રૂપિયામાં સીધો વેપાર થઈ શકે. ભારતની મજબૂરીનો ફાયદો ઉઠાવતું ઈરાન આપણા માટે અહીં ટેન્શનવાળા સમાચાર પણ છે. કારણ કે એકબાજુ ડોલર સામે ભારતીય રૂપિયો ગગડીને 93ના ઐતિહાસિક નીચેના સ્તરે પહોંચી ગયો છે તો બીજી બાજુ ઈરાન ભારત પાસે તેલ માટે વધારાના રૂપિયા માગી રહ્યું છે. હોર્મુઝ બંધ હોવાના કારણે ઈરાન રશિયા કરતા પણ મોંઘા ભાવે તેલ ઓફર કરીને ભારતની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યું છે. દુનિયા મલ્ટી કરન્સી મોડલની રાહે? આ બધી વિગતોને ધ્યાને લઈને એક્સપર્ટ્સ માને છે કે દુનિયા અત્યારે મોનેટરી ટ્રાન્ઝિશન યુગમાં જીવી રહી છે. ટૂંકમાં ગમે ત્યારે ડોલરનો પાવર દુનિયામાંથી ઘટી શકે તેમ છે. કારણ કે ગ્લોબલ ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં ડોલરનો હિસ્સો 57 ટકા પર આવી ગયો છે જે છેલ્લા 30 વર્ષમાં સૌથી ઓછો છે. વર્ષ 2025માં એશિયન દેશોએ એકબીજા સાથે વેપાર કર્યો તેમાં ડોલરનો ઉપયોગ ટાળ્યો છે. જેના કારણે વેપારમાં લોકલ કરન્સીનો હિસ્સો 112 ટકા વધી ગયો છે. આસિયાન દેશોએ પોતાની લોકલ કરન્સીમાં વેપાર કર્યો તેમાં 112 ટકાનો તોતિંગ વધારો જોવા મળ્યો હતો. ડોલર હજુ પણ સૌથી શક્તિમાન પણ ડોલરની તાકાતને ઓછું આંકવાની ભૂલ ન કરવી જોઈએ. ડોલર આજે પણ સૌથી શક્તિશાળી કરન્સીમાંની એક છે. ડોલર જેટલી લિક્વિડિટી કે કેપિટલ માર્કેટ કોઈ બીજી કરન્સીની નથી. આ સિવાય અમેરિકન ટ્રેઝરી બોન્ડ્સ હજુ પણ વિશ્વમાં સૌથી વધુ સિક્યોર ઈન્વેસ્ટમેન્ટ ગણાય છે. અને છેલ્લે… મોટા ઉપાડે ઈઝરાયલની વાતોમાં આવીને ઈરાન સામે યુદ્ધ છેડનાર ટ્રમ્પ પહેલા કહેતા હતા કે થોડા જ સમયમાં યુદ્ધ પૂરું થઈ જશે પણ એવું ન થયું. યુદ્ધ ખેંચાયું અને અમેરિકાના સૈનિકોની જાનહાની વધી તો જગતના ટોણાથી બચવા જગતજમાદારે યુદ્ધની પૂરી જવાબદારી પેન્ટાગોન ચીફ પીટ હેગસેથ પર ઢોળીને હાથ ઉંચા કરી દીધા છે. યુદ્ધ જીતે તો હું જીત્યો અને હારો તો હું નથી હાર્યો તેના જેવું અહીં જોવા મળ્યું છે. કારણ કે ટ્રમ્પ તો શાંતિ દૂત જ છે ને?
બોટાદમાં પુલ તોડાયો, ડાયવર્ઝન નથી:8 દિવસથી બાળકો અને વૃદ્ધ સહિતના લોકો જીવના જોખમે અવરજવર કરવા મજબૂર
બોટાદ શહેરના ઢાકણીયા રોડ પર નવો પુલ બનાવવા માટે જૂના પુલને તોડી પાડવામાં આવ્યાના 8 દિવસ બાદ પણ તંત્ર દ્વારા ડાયવર્ઝનની કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વૈકલ્પિક માર્ગના અભાવે લોકો હાલ જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા છે. ત્યારે ચીફ ઓફિસરનો ટેલિફોનિક સંપર્ક પ્રયાસ કરયો હતો પણ નોરિપ્લાય રહ્યો હતો. નગરપાલિકા દ્વારા આશરે 8 દિવસ પૂર્વે આ પુલ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નિયમ મુજબ કોઈપણ પુલ તોડતા પહેલા વાહનવ્યવહાર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી અનિવાર્ય હોય છે, પરંતુ અહીં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ડાયવર્ઝન ન હોવાને કારણે મહાદેવનગર સોસાયટી સહિતના આસપાસના વિસ્તારોમાં રહેતા હજારો લોકોને દૈનિક કામકાજ માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિકોમાં અકસ્માતનો ભયસ્થાનિક રહીશ ગોવિંદ સોલંકીના જણાવ્યા અનુસાર, ડાયવર્ઝન ન હોવાથી લોકો તૂટેલા પુલની બાજુમાંથી જોખમી રીતે પસાર થઈ રહ્યા છે. ખાસ કરીને રાત્રિના સમયે અહીં અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે શું તંત્ર કોઈ મોટી હોનારત સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે? તાત્કાલિક કામગીરીની માંગવારંવારની રજૂઆતો છતાં હજુ સુધી કાચો માર્ગ કે અન્ય કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. લોકોએ માંગ કરી છે કે તંત્ર જાગે અને તાત્કાલિક અસરથી ડાયવર્ઝન માર્ગ તૈયાર કરે જેથી સુરક્ષિત રીતે અવરજવર થઈ શકે. હવે જોવાનું એ રહે છે કે નગરપાલિકા તંત્ર આ લોકપ્રશ્નનો નિકાલ ક્યારે લાવે છે.
વલસાડના રેલવે ગોદામમાં કેબલના જથ્થામાં આગ લાગી છે. જેને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ભીષણ આગ લાગતા દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ વલસાડ ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. અમે આને અપડેટ કરી રહ્યા છીએ...
બોટાદમાં વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે ટીબીના દર્દીઓને પોષણક્ષમ કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ શેલ્ટર હોમ ખાતે યોજાયો હતો. આ કીટ વિતરણ કાર્યક્રમમાં બોટાદના ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ, જાયન્ટ્સ ગ્રુપના કાર્યકરો, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધિકારીઓ અને બોટાદના આરોગ્ય અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ દ્વારા તેમની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવામાં આવી હતી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મળતી કાનૂની સહાય અંગે પણ જાણકારી અપાઈ હતી. જજ શ્રી બ્રહ્મભટ્ટ સાહેબે કાયદાકીય માહિતી પૂરી પાડી હતી. યોજાયેલ કીટ વિતરણ કાર્યક્રમ અંગે જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખ ચંદ્રકાંતભાઈ સાવલિયાએ માહિતી આપી હતી.
Rahul Gandhi on PM Modi : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા 25 દિવસથી ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. હવે આ દેશો એકબીજાના ઊર્જા સ્થળો, ગેસ અને ઓઈલ પ્લાન્ટો પર હુમલાઓ કરી રહ્યા છે. આ કારણે ભારતમાં એલપીજી અને ગેસની અછત ઉભી થયાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ સંકટની અસર ભારતમાં જોવા મળ્યા બાદ દેશમાં રાજકારણ શરૂ થઈ ગયું છે. આ સંકટ મુદ્દે કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વડાપ્રધાનની વિદેશ નીતિની આકરા શબ્દોમાં ટીકા કરી છે. તેમણે કેન્દ્ર સરકરાનીક વ્યૂહનીતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
સુરત રિંગ રોડ પર આવેલી જાણીતી રઘુકુલ માર્કેટમાં એક એજન્ટ પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. નવાઈની વાત એ છે કે, આ હુમલો કોઈ મોટી અદાવતમાં નહીં, પરંતુ માત્ર 'નાક છીંકવા' જેવી ક્ષુલ્લક બાબતે કરવામાં આવ્યો હતો. માર્કેટમાં પાર્સલ ઉઠાવવાનું કામ કરતા હમાલોએ એજન્ટને ઢોર માર મારી તેના કપડાં ફાડી નાખ્યા હતા. હાલ આ સમગ્ર મામલે સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. માત્ર નાક સાફ કરવા જેવી નજીવી બાબતે વિવાદ વકર્યોબનાવની વિગત એવી છે કે, દિલીપ કુમાર પાંડે નામના વ્યક્તિ રઘુકુલ માર્કેટમાં એજન્ટ તરીકે કામ કરે છે. તેઓ ગઇકાલે મથુરાના એક વેપારીનું કામ પતાવીને માર્કેટના દાદર પરથી નીચે ઉતરી રહ્યા હતા. તે દરમિયાન દિલીપભાઈને શરદી હોવાથી તેમણે અચાનક નાક છીંક્યું હતું. આ બાબત ત્યાં હાજર પાર્સલ ઉઠાવનારા હમાલોને ગમી નહોતી. તેમણે એજન્ટ સાથે ગાળાગાળી શરૂ કરી દીધી હતી. જોતજોતામાં મામલો એટલો બિચક્યો કે ત્રણથી ચાર શખ્સોએ ભેગા મળી દિલીપભાઈ પર હુમલો કરી દીધો હતો. 'પાર્સલ પેક કરવાની સોય અને કાતર વડે હુમલો કર્યો'ભોગ બનનાર એજન્ટ દિલીપ કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, હું નીચે ઉતરતો હતો ત્યારે મને છીંક આવતા મેં નાક સાફ કર્યું હતું. આ જોઈને ત્યાં પાર્સલ ભરનારા શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે મારી સાથે ગેરવર્તણૂક કરી અને મુક્કાબાજી શરૂ કરી દીધી હતી. એટલું જ નહીં, પાર્સલ પેક કરવા માટે વપરાતી મોટી સોય અને કાતર જેવા સાધનો વડે પણ મને માર માર્યો હતો. હુમલાખોરોએ એજન્ટને એટલી હદે ફટકાર્યો હતો કે તેમના શરીર પર પહેરેલા કપડાં પણ ફાટી ગયા હતા. આ દ્રશ્યો જોઈ માર્કેટના અન્ય લોકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો. 'માર્કેટમાં ભારે દાદાગીરી, આખી ગેંગ અને યુનિટી છે'દિલીપભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, આ હમાલોની માર્કેટમાં ભારે દાદાગીરી છે. તેમની આખી ગેંગ અને યુનિટી છે. જો કોઈ પણ વ્યક્તિ તેમની સામે બોલે તો તેઓ ટોળું વળીને તૂટી પડે છે. તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, આજે તેમણે મારી સાથે માત્ર થૂંકવા કે નાક સાફ કરવા જેવી બાબતે મારપીટ કરી છે, જો તેમની સામે કડક પગલાં નહીં લેવાય તો ભવિષ્યમાં તેઓ કોઈ વેપારીને ધોળા દિવસે લૂંટી પણ શકે છે અથવા ગળું પણ કાપી શકે છે. બે-ત્રણ હુમલાખોર રફુચક્કર થઈ ગયાદિલીપભાઈ જ્યારે લોકોને પોતાની આપવીતી જણાવી રહ્યા હતા અને હુમલાખોરો તરફ આંગળી ચીંધી રહ્યા હતા, ત્યારે પોલીસ અને મીડિયાના ડરથી બે-ત્રણ શખ્સો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. માર્કેટમાં હાજર અન્ય લોકોના જણાવ્યા મુજબ, પાર્સલ ઉઠાવનારા આ શખ્સો અવારનવાર નાની વાતોમાં વેપારીઓ અને એજન્ટો સાથે ઘર્ષણમાં ઉતરતા હોય છે, જેના કારણે વેપાર કરવા આવતા લોકો સુરક્ષાને લઈને ચિંતિત છે. સલાબતપુરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યોબનાવ અંગે તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરવામાં આવ્યો હતો. સલાબતપુરા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ભોગ બનનારની પ્રાથમિક પૂછપરછ કરી હતી. પોલીસે માર્કેટના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે જેથી હુમલાખોરોની ઓળખ થઈ શકે. એજન્ટ દિલીપ પાંડેએ માંગ કરી છે કે આ હમાલો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી માર્કેટમાં અન્ય કોઈ પણ વ્યક્તિ સાથે આવી ગેરવર્તણૂક ન થાય.
મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆતો સાંભળવા માટે પોલીસે જનસંપર્ક સભાનું આયોજન કર્યું હતું. એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલી આ સભામાં 7 થી 8 ભોગ બનેલા લોકોએ પોતાની આપવીતી વર્ણવી હતી. પોલીસે આ રજૂઆતોને ગંભીરતાથી લઈને તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. મોરબીના એસ.પી. મુકેશકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ આ જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીવાયએસપી જે.એમ. આલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકોએ આ સભામાં હાજરી આપી હતી, જેમાં ગેરકાયદેસર નાણાં ધીરધાર કરનારાઓનો ભોગ બનેલા વ્યક્તિઓ પણ સામેલ હતા. મોરબી જિલ્લામાં ઠેરઠેર ગેરકાયદેસર વ્યાજના હાટડા ધમધમી રહ્યા છે. જરૂરિયાતમંદ લોકોને ઊંચા વ્યાજે રૂપિયા આપી, બાદમાં તેમની પાસેથી લાખો રૂપિયા અને અન્ય વસ્તુઓ પડાવી લેવામાં આવે છે. વ્યાજખોરો દ્વારા ધાકધમકી પણ આપવામાં આવતી હોવાથી અનેક પરિવારો ત્રાસનો ભોગ બની રહ્યા છે. એસ.પી. પટેલે ભોગ બનેલા લોકોની રજૂઆતો સાંભળીને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત, જે લોકોને ખરેખર નાણાંની જરૂર હોય તેમને મદદ કરવા માટે જુદી જુદી બેંકના કર્મચારીઓ અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ પણ સભામાં હાજર રહ્યા હતા. તેમણે સરળતાથી લોન કે ધિરાણ કેવી રીતે મેળવી શકાય તેની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ભાવનગર રેન્જ IG રાજેન્દ્ર અસારીનો પ્રથમ આદેશ:9 પોલીસકર્મીઓને સ્ટ્રાઇકિંગ કોર્સમાં નિમણૂક અપાઈ
રાજ્યમાં તાજેતરમાં IPS અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી, જેમાં રાજેન્દ્ર અસારીની ભાવનગર રેન્જ IG તરીકે નિમણૂક થઈ હતી. નવનિયુક્ત રેન્જ IG રાજેન્દ્ર અસારીએ પદભાર સંભાળ્યા બાદ તરત જ પ્રથમ આદેશ જારી કર્યો છે. આ આદેશ અંતર્ગત અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લાના કુલ 9 પોલીસ કર્મચારીઓને સ્ટ્રાઇકિંગ કોર્સ તરીકે કાર્યરત કરવામાં આવ્યા છે. આ નિમણૂક ભાવનગર રેન્જ હેઠળ આવતા ત્રણેય જિલ્લાના પોલીસ કર્મચારીઓમાંથી કરવામાં આવી છે. આ પગલું રેન્જ IG દ્વારા કાર્યભાર સંભાળ્યા પછી તરત જ લેવામાં આવ્યું છે, જે તેમની કાર્યશૈલીનો સંકેત આપે છે. સ્ટ્રાઇકિંગ કોર્સમાં નિમણૂક પામેલા 9 પોલીસ કર્મચારીઓમાં ભાવનગરના યોગેન્દ્રસિંહ જાડેજા, ઈમ્તિયાઝ ખાન, શક્તિસિંહ ઝાલા, અશ્વિનભાઈ પરમાર, રૂષિરાજસિંહ ગોહિલનો સમાવેશ થાય છે. બોટાદ જિલ્લામાંથી ભગીરથ સિંહ વીરસીંગભાઈ લીંબોલા અને જયપાલ સિંહ ચુડાસમાનો સમાવેશ થાય છે. જ્યારે અમરેલી જિલ્લામાંથી જયપાલ સિંહ ઝાલા અને ભગીરથ ધાધલનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ભાવનગર રેન્જ IG રાજેન્દ્ર અસારીના કાર્યક્ષેત્રમાં ભાવનગર, બોટાદ અને અમરેલી એમ ત્રણ જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓ ઔદ્યોગિક એકમો અને વિશાળ દરિયાઈ કોસ્ટલ બેલ્ટ ધરાવતા હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે.
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃત્તિ હેઠળ ઇંગ્લીશ દારૂની ગેરકાયદેસર હેરાફેરીમાં સંડોવાયેલ બુટલેગરોને પાસા તળે જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતાં. ક્રાઇમ બ્રાન્ચે 2 શખ્સોની પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટને મોકલી આપી હતી. જે દરખાસ્તો પર જિલ્લા મેજીસ્ટ્રેટની મંજુરી મળતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી 2 શખ્સોની પાસા વોરન્ટ હેઠળ ધરપકડ કરીને વડોદરા મધ્યસ્થ જેલ અને સુરતની લાજપૌર મધ્યસ્થ જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા. બંને શખ્સો વિરુદ્ધ પાસા વોરંટ ઇશ્યુ મળતી માહિતી અનુસાર ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઇંગ્લીશ દારૂની ગેરકાયદેસર પ્રવૃતિમાં સંડોવાયેલ 2 શખ્સો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે, પ્રોહીબીશનના ગુન્હા આચરતા બે શખ્સની પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. દરખાસ્ત તૈયાર થતા જીલ્લા મેજીસ્ટ્રેટ પાસે મોકલી આપવામાં આવી હતી. વોરંટની બજવણી કરીને સુરત-વડોદરા જેલમા ધકેલી દીધાજેમાં જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પાસા દરખાસ્ત માન્ય રાખી બંને શખ્સો વિરુદ્ધ પાસા વોરંટ ઇશ્યુ કરતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રોહિબિશનના બંને બુટલેગરો સામે પાસા વોરંટની બજવણી કરી હતી. જેમાં ભગીરથસિંહ ગજુભા ગોહિલ ઉ.વ.29 રહે. વલ્લભીપુર ને (મધ્યસ્થ જેલ વડોદરા) ખાતે, તેમજ વિરેન્દ્રસિંહ ઉર્ફે ભોલો વનરાજસિંહ ગોહિલ ઉ.વ.31 રહે.પચ્છેગામ તા.વલ્લભીપુરને (લાજપૌર મધ્યસ્થ જેલ સુરત) ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.
રાજકોટમાં આજે સવારના સમયે આગ લાગવાની વધુ એક ઘટના સામે આવી હતી. જેમાં શહેરના વોર્ડ નંબર 11માં આવેલા જીવરાજ પાર્ક વિસ્તારમાં નચીકેતા સ્કૂલની બાજુમાં સ્થિત નંદન હિલ્સ એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં આજે સવારે આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમને આ અંગેની જાણ થતા જ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યો હતો. અને આગને કારણે ધુમાડામાં ફંસાયેલા 10થી વધુ લોકોનું દિલધડક રેસ્ક્યુ કરાયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ, જીવરાજ પાર્કમાં આવેલા નંદન હિલ્સ એપાર્ટમેન્ટના બ્લોક નં. 201 માં રહેતા જ્યાબેન મોહનભાઈ મોનપરાના મકાનમાં સવારના સમયે રસોઈ કામ ચાલુ હતું ત્યારે ચિમનીમાં આગ લાગી હતી. મકાન માલિકના જણાવ્યા અનુસાર, રસોઈ દરમિયાન ચિમની સળગતા આગ જોતજોતામાં સંપૂર્ણ મકાનમાં પ્રસરી ગઈ હતી. આગમાં મકાનમાં રહેલા ટીવી, ફ્રીજ, સોફા, ચિમની તેમજ અન્ય ફર્નિચર સહિતની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર વિભાગના જયપાલસિંહે દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આગને કારણે સમગ્ર બિલ્ડિંગમાં ધુમાડો અને હીટનું પ્રમાણ વધી જતા ઉપરના માળે રહેતા રહીશો પણ ફસાઈ ગયા હતા. અને ધુમાડાનાં કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી થવા લાગી હતી. જોકે નાનામૌવા ફાયર સ્ટેશનથી આવેલી ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને ઉપરના ફ્લોર પર ફસાયેલા આશરે 10થી વધુ લોકોને રેસ્ક્યુ કરી સહી સલામત રીતે બહાર કાઢ્યા હતા. જોકે સોફાસેટ સહિતની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયેલા લોકોની યાદી * દિવાળીબેન ગાંડુભાઈ રાણપરીયા (ઉંમર આશરે 80 વર્ષ) * જ્યાબેન નારાયણભાઈ મરવણ (ઉંમર આશરે 70 વર્ષ)* જ્યાબેન મોહનભાઈ રાણપરીયા * મોહનભાઈ ગાંડુભાઈ રાણપરીયા * નેન્સીબેન મનીષભાઈ ઉંજીયા * પાર્થભાઈ મનીષભાઈ ઉંજીયા (ઉંમર 32 વર્ષ) * કોમલબેન પાર્થભાઈ પાચાણીયા (ઉંમર 32 વર્ષ) * ધ્વિક પાર્થભાઈ પાચાણીયા (ઉંમર 2 વર્ષ - બાળક) * અવનીબેન રવિભાઈ મુનવર * આયુષ રવિભાઈ મુનવર ફાયર વિભાગે આ કામગીરીમાં બે ગાડીઓની મદદથી સતત 30 થી 40 મિનિટ સુધી પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ભયાનક આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આ ઘટના સમયે સ્થળ પર મકાન માલિક કાજલબેન સંતપરીયા અને જાણ કરનાર મનીષભાઈ ઉંજીયા હાજર રહ્યા હતા. સાથે-સાથે રાજકોટ તાલુકા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. જોકે ફાયર વિભાગની સમયસરની કામગીરીથી મોટી દુર્ઘટના ટળી હતી.
ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટના પ્રાંગણમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ એડવોકેટના સ્વાગત દરમિયાન ઢોલ નગારા વગાડવા મુદ્દે જજ અને એડવોકેટ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા કોર્ટ સંકુલમાં ગરમાવો વ્યાપી ગયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાઇરલ થયો છે. શું છે સમગ્ર મામલો?ગુજરાત બાર એસોસિએશનના સભ્ય તરીકે સતત ત્રીજી વખત વિજેતા બનેલા જાણીતા એડવોકેટ અનિરૂદ્ધસિંહ ઝાલાનું આજે ભાવનગર કોર્ટ ખાતે ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. સમર્થકો અને વકીલો દ્વારા વિજેતા ઉમેદવારના માનમાં ઢોલ-નગારા વગાડવામાં આવી રહ્યા હતા. કોર્ટની કાર્યવાહી ચાલુ હોવાથી, આ અવાજને કારણે ન્યાયિક પ્રક્રિયામાં ખલેલ પહોંચતા જજ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. કોર્ટની મર્યાદા અને શાંતિ જાળવવાના મુદ્દે જજ અને વકીલ સામસામે આવી ગયા હતા. બંને વચ્ચે થયેલી ઉગ્ર દલીલો અને માથાકૂટના દૃશ્યો ઉપસ્થિત લોકોએ કેમેરામાં કેદ કર્યા હતા. વકીલની જજ સામે જ ઉગ્ર રજૂઆતભલે થાય, જે થાય એ કરી લેવાનું...મિસ્ટર... તમે તમારી ખુરશી સંભાળો...એ વગાડ...સાહેબ તમે કોણ છો...ઓ ડિસ્ટ્રીક્ટ જજ સાહેબતમે ડિસ્ટ્રીક્ટ જજ છો ત્યાં જઈને બેઠા ઓર્ડર કરો...એ વગાડ... હું બેઠો છું... વગાડ... વગાડ...
ગાંધીનગરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા સમાન પેથાપુર ખાતે વર્ષો જૂની ગરબાની પરંપરાને આ વર્ષે નવી ઊંચાઈએ લઈ જવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કમર કસવામાં આવી છે. ચૈત્ર સુદ આઠમના પવિત્ર પર્વે અંબાજી માતાના મંદિરે યોજાતા પરંપરાગત ગરબાના મહોત્સવને વધુ ભવ્ય બનાવવા માટે આવતીકાલે તારીખ 25 માર્ચના રોજ પેથાપુર બસ સ્ટેન્ડ ખાતે એક વિશાળ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં જાણીતા લોકગાયક વિજય સુંવાળા સુરતાલની રમઝટ બોલાવી ખેલૈયાઓને ડોલાવશે. LED વિઝ્યુઅલ અને નૃત્ય નાટિકાથી શ્રી રામની જન્મકથા મહાનગર પાલિકા દ્વારા આ વર્ષે કાર્યક્રમમાં આધુનિકતાનો સ્પર્શ આપવામાં આવ્યો છે. આ લોકઉત્સવનો પ્રારંભ બાળકો દ્વારા રજૂ કરવામાં આવનારી ઇન્સ્ટ્રુમેન્ટલ ભજન સંધ્યાથી થશે. ત્યારબાદ, LED વિઝ્યુઅલ અને નૃત્ય નાટિકાના માધ્યમથી ભગવાન શ્રી રામની જન્મકથા રજૂ કરવામાં આવશે. જે શ્રોતાઓ માટે એક નવું આકર્ષણ બની રહેશે. વિજય સુંવાળા ગરબાની રમઝટ બોલાવશેઆ કાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે ગુજરાતના લોકગાયક વિજય સુંવાળા પરંપરાગત ગરબાની પ્રસ્તુતિ કરશે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ વર્ષ 2026 અંતર્ગત આયોજિત આ કાર્યક્રમ પેથાપુરની પ્રાચીન પરંપરાને આધુનિક ઓપ આપશે. સમગ્ર પેથાપુર વિસ્તારને અદભૂત રોશનીથી શણગારવામાં આવ્યોત્યારે ચૈત્ર સુદ આઠમના ગરબા બાદ બીજા દિવસે રામનવમી નિમિત્તે પેથાપુરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન થતું હોય છે. આ બંને પર્વોને ધ્યાનમાં રાખીને સમગ્ર પેથાપુર વિસ્તારને અદભૂત રોશનીથી શણગારવામાં આવ્યો છે. વિજય સુંવાળાની લોકપ્રિયતાને જોતા હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડવાની શક્યતા છે. આથી મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા, બેઠક અને પાર્કિંગ વ્યવસ્થા માટે ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. લોકોને ઉમટી પડવા માટે કોર્પોરેશનનું આમંત્રણમહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ ભવ્ય લોકઉત્સવમાં ગાંધીનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના તમામ લોકોને ઉમટી પડવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ઉત્સવ માત્ર મનોરંજન નહીં પરંતુ પેથાપુરની ભવ્ય વિરાસતને ઉજવવાનો એક અવસર બની રહેશે.
મહેસાણા જિલ્લાની ઐતિહાસિક સિદ્ધિ:13 ગામોને ગોલ્ડ મેડલ; કલેક્ટર અને આરોગ્ય ટીમની મહેનત
વિશ્વ ક્ષય દિવસ-2026 ના અવસરે મહેસાણા જિલ્લાએ આરોગ્ય ક્ષેત્રે એક મોટી છલાંગ લગાવી છે. ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત જિલ્લાની કુલ 600 ગ્રામ પંચાયતોમાંથી 146 પંચાયતોને સઘન તપાસ અને વેરિફિકેશન બાદ સત્તાવાર રીતે 'ટીબી મુક્ત' જાહેર કરવામાં આવી છે. આ સફળતા પાછળ ગ્રામ્ય સ્તરે થયેલી સક્રિય કેસ શોધ અને સમયસર નિદાનની કામગીરી મુખ્ય કારણ રહી છે. ગોલ્ડ અને સિલ્વર મેડલનો ઝળહળાટગામડાઓની કામગીરી અને ગુણવત્તાના આધારે આ પંચાયતોને ત્રણ વિશેષ કેટેગરીમાં વિભાજિત કરવામાં આવી છે: ગોલ્ડ (સુવર્ણ): 13 ગ્રામ પંચાયતો સિલ્વર (રજત): 40 ગ્રામ પંચાયતો બ્રોન્ઝ (કાંસ્ય): 93 ગ્રામ પંચાયતો તાલુકાવાર આંકડા જોઈએ તો મહેસાણા તાલુકાની સૌથી વધુ 32 પંચાયતોએ વેરિફિકેશનમાં સફળતા મેળવી બાજી મારી છે. ટીમવર્ક અને જનજાગૃતિનો વિજયઆ અભિયાન કલેક્ટર એસ.કે. પ્રજાપતિ અને જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસ્મિનના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સુહાગ શ્રીમાળી અને જિલ્લા ક્ષય અધિકારીની ટીમે આશા કાર્યકરો, નિક્ષય મિત્રો અને ટીબી ચેમ્પિયન્સ સાથે મળીને જનજાગૃતિનું અભિયાન ચલાવ્યું હતું. દર્દીઓને મફત નિદાન અને પોષણ સહાય પૂરી પાડીને જિલ્લાને રોગમુક્ત કરવાની દિશામાં મહત્વનું કામ થયું છે. તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ટીબીના લક્ષણો જણાય તો તુરંત તપાસ કરાવી મહેસાણાને સંપૂર્ણ ટીબી મુક્ત બનાવવામાં સહયોગ આપે.
મહેસાણા જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ તેજ બન્યો છે. આ ચૂંટણીઓ પૂર્વે કોંગ્રેસ પક્ષ એક્શન મોડમાં જોવા મળી રહ્યો છે. બહુચરાજી ખાતે કોંગ્રેસ દ્વારા ચૂંટણીલક્ષી કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંગઠનને મજબૂત કરવા અને આગામી રણનીતિ ઘડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠક દરમિયાન આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ફટકો પડ્યો છે. જેમાં તાલુકા પ્રમુખ સહિત 30થી 35 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોર અને દિલ્હીથી પધારેલા નિરીક્ષક સુહાસીની યાદવની વિશેષ ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ હતી. જેમાં આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી અને પ્રચારના મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. 'સત્તાધારી પક્ષ માત્ર વાતો કરવામાં માને છે'જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોરે આ પ્રસંગે ભાજપ સરકારની નીતિઓ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સત્તાધારી પક્ષ માત્ર વાતો કરવામાં માને છે.જ્યારે પ્રજાના પાયાના પ્રશ્નો આજે પણ વણઉકેલ્યા છે. 'આપ' પ્રમુખ 35 સક્રિય કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયાઆ બેઠકમાં સૌથી વધુ રાજકીય ગરમાવો ત્યારે જોવા મળ્યો જ્યારે બહુચરાજી તાલુકા 'આપ' પ્રમુખે પોતાના પક્ષ સાથે છેડો ફાડીને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. તેમની સાથે અન્ય 30થી 35 સક્રિય કાર્યકરો પણ કોંગ્રેસમાં જોડાયા હતા. હજી આગામી દિવસોમાં પક્ષ પલટો કરી શકે છેજેમને જિલ્લા પ્રમુખ અને પ્રભારીએ આવકાર્યા હતા. કોંગ્રેસના આગેવાનોએ દાવો કર્યો હતો કે અન્ય પક્ષોના કાર્યકરો પણ સતત કોંગ્રેસના સંપર્કમાં છે અને આગામી દિવસોમાં પક્ષનું સંખ્યાબળ હજુ વધશે. મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોના પ્રશ્નો સાથે કોંગ્રેસ મેદાનમાં નિરીક્ષક સુહાસીની યાદવે જણાવ્યું હતું કે, કોંગ્રેસ આ વખતે મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોના પ્રશ્નો જેવા સ્થાનિક મુદ્દાઓને લઈને મેદાનમાં ઉતરશે. જનતામાં વર્તમાન સરકાર પ્રત્યે રોષ છે અને લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા હોવાનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. ગ્રામ્ય અને તાલુકા સ્તરે કાર્યકરોને અત્યારથી જ સક્રિય કરી દેવામાં આવ્યા છે જેથી ચૂંટણીમાં મજબૂત દેખાવ કરી શકાય.

28 C