હુમલાની ઘટના:હિંમતનગરના મહેતાપુરામાં જૂની અદાવતમાં ચાર યુવકો પર હુમલો
હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં જૂની અદાવત રાખીને બે શખ્સો સહિત 7 જણાના ટોળાએ ચાર યુવકો પર હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપતાં હિંમતનગર બી-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. મહેતાપુરા વિસ્તારમાં હર્ષકુમાર અને સિદ્ધાર્થકુમાર વચ્ચે ચાર મહિના પહેલા ઇડરમાં બોલાચાલી થઈ હતી. આ જૂની અદાવત મનમાં રાખી હર્ષકુમાર તેમના ભાઈ અને પિતરાઈ ભાઈઓ સાથે મહેતાપુરા જકાતનાકા પાસે પાન પાર્લર નજીક પાણીની બોટલ લેવા ગયા હતા. તે સમયે આરોપી સિદ્ધાર્થકુમાર જગદીશભાઇ વણઝારા અને પ્રકાશ મોહનભાઇ વણઝારા (બંને રહે. મોતીપુરા) અન્ય પાંચ અજાણ્યા માણસો સાથે ત્યાં ધસી આવ્યા હતા. આ ટોળાએ ફરિયાદી અને તેમના ભાઈઓને ગડદાપાટુનો માર માર્યો હતો. આરોપીઓએ હાથમાં પહેરેલા કડા વડે હુમલો કરી બિભત્સ ભાષાનો ઉપયોગ કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ઝઘડા બાદ સામાવાળા પક્ષે સમાધાનના પ્રયાસો કર્યા હતા, પરંતુ ન થતાં હર્ષકુમાર ફરિયાદ નોંધાવી હતી.
ગંભીર અકસ્માત સર્જાયો:હિંમતનગરમાં કારે રોડ ઓળંગતા ત્રણ બાળકોને ફંગોળતાં 1 ગંભીર
હિંમતનગરમાં હાઈવે કારે રોડ ક્રોસ કરી રહેલા ત્રણ બાળકોને ટક્કર મારી ગંભીર ઇજાઓ પહોંચાડતાં હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ભોલાભાઇ સરણીયા ગત શનિવારે કુંજલબેન (16) પોતાના ભાઈ જોગેશ ( 8) અને પિતરાઈ ભાઈ પિયુષ (9)ને શાળાએ મૂકવા ચાલતા જઈ રહ્યા હતા. સ્ટાર સિટી બ્રિજના છેડા પાસે જ્યારે તેઓ હાઈવે ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે અમદાવાદ તરફથી આવતી કાર નં. MH-04-LT-7737 ના ચાલકે ત્રણેય બાળકોને અડફેટે લીધા હતા. જેમાં ત્રણેય બાળકોને ગંભીર ઇજાઓ થઇ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે ત્રણેય બાળકો રોડ પર પટકાયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે હિંમતનગર સિવિલમાં ખસેડાયા હતા. જેમાં કુંજલબેનને કપાળ અને માથાના ભાગે, જોગેશને હોઠ અને કપાળના ભાગે ઈજા હતી. જોગેશને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ રિફર કરાયો હતો. જ્યારે પિયુષને કમરના ભાગે ગંભીર ઈજા થઇ છે. બાળકોના પિતાએ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
સુલભ શૌચાલય ખંડેરમાં ફેરવાયું:મોડાસાના રેલવે ગ્રાઉન્ડ પાસે 7 લાખના ખર્ચે બનાવેલ સુલભ શૌચાલય બંધ
મોડાસા શહેરના આઇકોનિક રોડ ઉપર રેલવે ગ્રાઉન્ડ પાસે 7 લાખના ખર્ચે પ્રજાની સુખાકારી માટે બનાવેલ સુલભ શૌચાલય યોગ્ય જાળવણીના અભાવે બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યું છે. શૌચાલય કાર્યરત ન હોવાને કારણે રોજિંદા રાહદારીઓ તેમજ આજુબાજુ રહેતા ગરીબ અને મજૂર વર્ગના લોકો માટે ભારે મુશ્કેલી ઉભી થઈ છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલી નિર્મળ ગુજરાત યોજના અંતર્ગત શહેરમાં આ પે એન્ડ યુઝ શૌચાલય જુદા જુદા વિસ્તારોમાં બનાવાયા હતા. યોજના પાછળનો હેતુ સ્વચ્છતા, સુવિધા અને ગંદકી અટકાવવાનો હતો, પરંતુ યોગ્ય જાળવણીના અને મેનેજમેન્ટના અભાવે આ જ શૌચાલય લોકો માટે નહીં પરંતુ પશુઓ માટે પડાવ અને કચરાના ઢગલા બની ગયું છે. સ્થાનિકોનું કહેવું છે કે નગરપાલિકા દ્વારા સમયાંતરે સંચાલન સફાઈ અને દેખરેખ રાખવામાં આવી હોત તો આ શૌચાલય શહેરની જનતા અને રાહદારીઓ માટે સુખાકારી સાથે ઉપયોગી સાબિત થયું હોત . માલપુર રોડ ઉપર પ્રજાની સુખાકારી માટે અન્ય અદ્યતન સુલભ શૌચાલય બનાવવા જગ્યા માટે નગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી હોવાનું નગર પાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠે જણાવ્યું હતું.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’.
હુમલો:રાયગઢમાં પેટ્રોલ મુદ્દે મશ્કરી કરી માતા અને પુત્ર પર હુમલો
હિંમતનગરના રાયગઢમાં ગત મંગળવારે રાત્રે રસ્તામાં બાઇકનું પેટ્રોલ પૂરું થઇ જતાં ઉભેલા માતા-પુત્રની મશ્કરી કરી, ચાર શખ્સોએ તેમને મારતાં 4 શખ્સો સામે ફરિયાદ ગાંભોઇ પોલીસ મથકે નોંધાઇ હતી. સોનલબેન પટેલ અને તેમનો દીકરો વિષેશ ખેતરેથી પરત ફરી રહ્યા હતા. રાયગઢમાં ન્યાયમંદિર દુકાનો પાસે તેમના બાઇકનું પેટ્રોલ ખતમ થઈ ગયું હતું. આ સમયે ત્યાં ઉભેલા ત્રણ શખ્સોએ પેટ્રોલ જોઈતું હોય તો અમારી પાસે આવો તેમ કહી મશ્કરી શરૂ કરી હતી. વિષેશે મશ્કરી કરવાની ના પાડતાં ઉશ્કેરાયેલા શખ્સોએ તેની ફેંટ પકડી માર મારવાનું શરૂ કર્યું હતું. પુત્રને બચાવવા વચ્ચે પડેલા સોનલબેનને પણ સિદ્ધરાજસિંહે વાળ પકડી નીચે પાડી દીધા હતા. ગાંભોઇ પોલીસમાં સિદ્ધરાજસિંહ ભીખુસિંહ સોલંકી (જવાનપુર) અનિલસિંહ રમણસિંહ પુંજારા (જવાનપુર) રાહુલસિંહ દીલીપસિંહ મકવાણા (વગડી) અને ધર્મેન્દ્રસિંહ પરબતસિંહ મકવાણા (વગડી) સામે ફરિયાદ નોંધાવી હતી.
BLOની મોત:મહેસાણા જિલ્લામાં વધુ એક બી.એલ.ઓ શિક્ષિકાનું હૃદયરોગના હુમલાના કારણે મોત
મહેસાણા જિલ્લાના વધુ એક બીએલઓ શિક્ષિકાનું હ્યદયરોગના હુમલાના કારણે મોત થયુ છે. મહેસાણાના નાગલપુર ગોકુલ વિહાર બંગ્લોઝમાં રહેતા અને મહેસાણા તાલુકાના ભેસાણા ગામની શાળામાં છેલ્લા 26 વર્ષથી શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં રીંપલબેન હર્ષદભાઇ ઓઝાને બુધવારે મોડી રાત્રે હાલ પાલનપુરના નિવાસે આકસ્મિક છાતીમાં દુખાવો ઉપડતા તેમના પતિ અને દિકરો ઇમરજન્સી વાહનમાં લઇને સિવીલ હોસ્પિટલ ગયા હતા.જોકે આકસ્મિક શિક્ષિકાનું અવસાન થયુ હતું. હાલ રીપલબેન બીએલઓ તરીકેની કામગીરીનો સતત દિવસ,રાત વર્કલોડ રહેતો હતો.આ દરમિયાન ગામમાં શિક્ષિકાના અવસાન ના મેસેજ મળતાં ગુરુવારે સમસ્ત ગ્રામજનોએ બંધ પાડ્યો હતો. હર્ષદભાઈ એ કહ્યુ,બીએલઓ ની કામગીરી સતત ચાલુ હતી અને વોટ્સએપમાં સમય મર્યાદાના મેસેજ શરૂઆતથી આવતા હતા. મતદારોના સતત ફોન કોલ, તેમના ડોક્યુમેન્ટની કોપી ઓ વગેરે કામગીરી દિવસ અને રાતે પણ કરતા.આ દરમિયાન મોડી રાત્રે કંઇ ખબર નહી, સૂતા હતા ત્યાં આકસ્મિક દુખાવો થયો હતો. પુત્ર ઓમ એ ભારે હૈયે જેઇઇ ની પરીક્ષા આપીધોરણ 10માં મહેસાણમાં ત્રીજા ક્રમે આવેલા હોશિયાર ઓમ ઓઝા હાલ ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહમાં છે. આ દરમિયાન બુધવારે રાત્રે માતા રીંપલબેનનું આકસ્મિક અવસાન થયુ હતું.પરિવારજનોએ હિંમત આપી અને ગુરુવારે ઓમ ને જેઇઇ ની પરીક્ષા હોઇ ભારે હૈયે પરીક્ષા આપી હતી.
કેન્દ્ર અને રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા અમલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવીના જીવનમાં પરિવર્તન લાવી રહી છે. સાબરકાંઠા જિલ્લામાં સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ છેલ્લા ત્રણ વર્ષમાં 2.31 કરોડના ખર્ચે 604 લાભાર્થીઓને દૂધાળા પશુઓની સહાય કરાઇ હતી. ખેડબ્રહ્માના અંબોરાના લીલાબેન સદીકભાઈ પરમારના પતિ કોરોના કાળમાં અવસાન બાદ તેમના પર પરિવારના ભરણપોષણની મોટી જવાબદારી આવી પડી હતી. કપરા સમયમાં સરકાર દ્વારા તેમને 90હજારની દૂધાળી ભેંસ સહાય પેટે અપાઇ હતી. લીલાબેન જણાવે છે કે, આ સહાયથી મારા બાળકોને પૌષ્ટિક દૂધ મળે છે અને વધારાનું દૂધ ડેરીમાં ભરાવીને હું રોજગારી મેળવી રહી છું. જિલ્લામાં પશુપાલનને વેગ આપવા માટે પોશીના તાલુકામાં સ્પેશિયલ પોશીના પ્રોજેક્ટ કાર્યરત છે. જેનો મુખ્ય લક્ષ્યાંક 2500 દૂધાળા પશુઓ પૂરા પાડવા અને 40 નવીન દૂધ મંડળીઓનું નિર્માણ કરવું છે. આ વિસ્તારમાં બલ્ક મિલ્ક ચિલિંગ યુનિટ, મિલ્ક ટેસ્ટર અને ડેટા પ્રોસેસિંગ સોફ્ટવેર જેવી આધુનિક સુવિધાઓ માટે 1432.38 લાખની ગ્રાન્ટ ફાળવાઇ છે. પશુપાલકોની સુવિધા માટે ખેડબ્રહ્મા તાલુકામાં વર્ષ 2018-19થી મોબાઇલ પશુ દવાખાના યોજના અમલમાં છે. કેન્દ્ર સરકારની 22 લાખની ગ્રાન્ટ સાથે શરૂ થયેલી આ સેવા પશુઓના આરોગ્યની ચિંતા દૂર કરી રહી છે. પશુ ખરીદીથી લઈને તેના આરોગ્ય અને દૂધના વેચાણ સુધી આદિવાસી વિસ્તારોમાં શ્વેત ક્રાંતિ સર્જી છે.
અરવલ્લી જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે નવીનતા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે 11મા એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ 2025-26નું આયોજન કરાયું છે. મોડાસાના સાકરીયામાં બે દિવસીય કાર્યક્રમ શરૂ થયો છે.આ ફેસ્ટીવલનો મુખ્ય ઉદ્દેશ જિલ્લાની આંગણવાડી, પ્રાથમિક, માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક તથા પ્રશિક્ષણ સંસ્થાઓમાં કાર્યરત શિક્ષકો દ્વારા બાળકો અને વિદ્યાર્થીઓના બહુવિધ વિકાસ માટે કરવામાં આવેલા શૈક્ષણિક નવાચાર (Educational Innovation) ના પ્રદર્શન તેમજ તેના પ્રચાર-પ્રસારને પ્રોત્સાહન આપવાનો છે. આ કાર્યક્રમમાં કુલ 41 પ્રકારના ઇનોવેટીવ પ્રોજેક્ટનું પ્રદર્શન કરાયુું હતું. પ્રદર્શનમાં વિવિધ વિષયો પર આકર્ષક સ્ટોલ્સ ગોઠવાયા હતા. જેમાં સરળ ગણિત, AI નું મહત્વ, ડિજિટલ સેવાઓ, રમતા રમતા શીખો, જીવનમાં ભગવદ્ગીતાનું મહત્વ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ, મેન્સ્ટ્રુઅલ હાઇજિન, દેશી રમતોનો વારસો અને શિક્ષણ તથા આંગણવાડીની યોજનાઓ જેવા વિવિધ વિષયોનો સમાવેશ થાય છે. આ તમામ સ્ટોલ્સ દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને શિક્ષણમાં નવીન અભિગમોને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ગણવામાં આવી રહી છે. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓ અને અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા. એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલ જિલ્લામાં શિક્ષણના ક્ષેત્રે નવીનતાને પ્રોત્સાહન આપવા અને શિક્ષકોના સર્જનાત્મક પ્રયાસોને માન આપવાનું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ ગણાઇ રહ્યું છે.
સાબરકાંઠા જિલ્લાના લોકો માટે વર્ષ 2026ની શરૂઆત અનેરી ભેટ લઈને આવી છે. છેલ્લા એક દાયકાથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી, તે હિંમતનગર–ખેડબ્રહ્મા રેલવે સેક્શન હવે નવા અવતારમાં સજ્જ થઈ ગયું છે. 55.672 કિમી લાંબા આ નવનિર્મિત બ્રોડગેજ રેલખંડ પર 25 કિલો વોટ એસી વિદ્યુતીકરણનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરાયું છે. હવે આ ટ્રેક પર ઇલેક્ટ્રિક એન્જિન સાથેની ટ્રેનો દોડાવવા પરીક્ષણને અંતે મંજૂરી મળી ગઈ છે અને હવે ગમે ત્યારે ખેડબ્રહ્મા રેલસેવાનો પ્રારંભ થનાર છે. વેસ્ટર્ન રેલવેના ફુલચંદ જારવાલે જણાવ્યું કે તાજેતરમાં પશ્ચિમ રેલવેના ચીફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર (PCEE) રજનીશકુમાર ગોયલ દ્વારા 8 જાન્યુઆરીના રોજ આ સેક્શનનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ બાદ તેમણે આ રેલ ખંડ પર પેસેન્જર અને માલગાડીઓ ચલાવવા સત્તાવાર મંજૂરી આપી દીધી છે. 8 જાન્યુઆરી 2026ના રોજ આ ટ્રેક પર ઇલેક્ટ્રિક લોકોમોટિવનું સફળ ટ્રાયલ કરાયું હતું. જેમાં ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE), સિગ્નલિંગ અને સુરક્ષા વ્યવસ્થા એકદમ સચોટ માલૂમ પડી હતી.
યાત્રાળુઓ માટે ખાસ સુવિધા:સાબરકાંઠામાંથી શક્તિપીઠ પરિક્રમા માટે ત્રણ દિવસ રોજ 65 બસો જશે
અંબાજીમાં આજથી શરૂ થતાં 51 શક્તિપીઠ પરિક્રમ માટે સાબરકાંઠા જિલ્લામાંથી કુલ 195 બસો મૂકાઇ છે. જેમાં દરરોજ 65 બસો જિલ્લાના વિવિધ સ્થળેથી ઉપડશે તથા તે સ્થળે પરત યાત્રાળુઓને તે જ સ્થળે ઉતારશે. તા.30, 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી દરમિયાન અંબાજી ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરાયું છે. શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ મા અંબાના દર્શન અને શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ માટે નિઃશુલ્ક યાત્રાનો સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરાયું છે. યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને બસમાં નિ:શુલ્ક લઈ જવા ઉપરાંત પરિક્રમા અને દર્શન બાદ તેમને પરત લાવવાથી માંડીની વ્યવસ્થા કરાશે. સાબરકાંઠામાં તાલુકા અને તારીખ વાઈઝ બસોની વિગત ૧. તા. 30 જાન્યુઆરી: પોશીના: 3 બસો (કાલીકાંકર, લાંબડીયા અને ટાઢીવેડી). વિજયનગર: 4 બસો (કણાદર, ચામઠણ, દંતોડ અને ચિતરીયા). ખેડબ્રહ્મા: 8 બસો (આગીયા, ચીખલા, વાલરણ, હિંગટીયા, તુવેર, અંબાઇગઢા) અને ખેડબ્રહ્મા પાલિકાથી 2 બસો. વડાલી: 8 બસો (જુનાચામું, મેઘ, વડગામડા, કેશરગંજ, ભજપુરા, નાદરી) અને વડાલીમાંથી 2 બસો. ઇડર: 14 બસો (અરોડા, આરસોડીયા, દરામલી, જાદર, જશવંતગઢ, કેશરપુરા, ઉમેદગઢ, એકલારા, માઢવા, કપોડા, નાના કોટડા) અને ઇડર પાલિકાથી 3 બસો. હિંમતનગર: 19 બસો (દેરોલ, હાપા, પોલાજપુર, વાંટડા, ગામડી, અંબાવાડા, ચાંદરણી, આગીયોલ, જવાનપુરા, બાંખોર, હુંજ, માથાસુલિયા, બોરીયાખુરાદ, નવલપુર(ભા), પેઢમાલા, રૂપાલ, ભાવપુર, ગાંભોઈ, વાવડી). પ્રાંતિજ: 4 બસો (નગરપાલિકાથી 2, ઘડી, સલાલ). તલોદ: 5 બસો (મોરાલી, દોલતાબાદ, રૂપાલ) અને તલોદ પાલિકાથી 2 બસો. ૨. તા. 31 જાન્યુઆરી: પોશીના: 3 બસો (અંબા મહુડા, દેલવાડા છો, સેબલિયા પો.). વિજયનગર: 4 બસો (બાલેટા, લીમડા, કેલાવા, ખેરવાડા). ખેડબ્રહ્મા: 8 બસો (પીપોદરા, ગઢડા શામળાજી, લક્ષ્મીપુરા, દેરોલ/રોધરા/પરોયા, નીચી ધનાલ, મોટાબાવળ) અને નગરપાલિકાની 2 બસ. વડાલી: 8 બસો (ડોભાડા, હાથરવા, વાસણ, રહેડા, વડગામડા, બડોલ) અને વડાલીની 2 બસ. ઇડર: 14 બસો (જાદર, રેવવાસ, નેત્રામલી, દેશોત્તર, મસાણી, કાનપુર, ભદ્રેસર), નગરપાલિકાની 3 બસ, બડોલીની 2 બસ અને સાબલીની 2 બસ. હિંમતનગર: 10 બસો (ગઢોડા, દેરોલ, રાયગઢ, હાથરોલ, કાંકણોલ, દેસાસણ) અને નગરપાલિકાની 4 બસ. પ્રાંતિજ: 7 બસો (સલાલ, પલ્લાચર, તાજપુર, પોગલુ, ઓરણ) અને નગરપાલિકાની 2 બસ. તલોદ: 4 બસો (હરસોલ, અણીયોર) અને નગરપાલિકાની 2 બસ. ૩. તા. 1 ફેબ્રુઆરી: પોશીના: 3 રૂટ (પોશીના, દેમતી, નાડા). વિજયનગર: 4 રૂટ (અભાપુર, મોધરી, નવાભગા, પરોસડા). ખેડબ્રહ્મા: 8 રૂટ (સેબલીયા, રતનપુર, દિધિયા, ગોતા, ખેડવા, નાકા) અને ખેડબ્રહ્મા શહેરની 2 બસ. વડાલી: 8 રૂટ (મહોર, બાબસર, વરતોલ, હિંમતપુર, અસાઈ, વાસણા) અને વડાલી શહેરની 2 બસ. ઇડર: 14 રૂટ (ગોલવાડા, કાવા, કુકડીયા, ચિત્રોડા, સાબલવાડ, બડોલી, ભદ્રેસર, રેવંતિયા, દરામલી, જાવાવાસ) અને ઇડર શહેરની 3 બસ. હિંમતનગર: 12 રૂટ (હાપા, રાયગઢ, દેરોલ, નિકોડા, સાવગઢ, હડિયોલ, સુરપુર, કાંકણોલ) અને હિંમતનગર શહેરની 4 બસ. તલોદ: 10 રૂટ (હરસોલ, રણાસણ, તાજપુર, મુડેટી, પુંસરી, ગઢવાડ, અણિયોદ, મહાદેવપુરા) અને તલોદ શહેરની 2 બસ. પ્રાંતિજ: 12 રૂટ (સોનાસણ, સલાલ, ઓરાણ, ઝીંઝવા, પોગલુ, ગલતેશ્વર, મજુમ, પલ્લાચર, નાનપુર) અને પ્રાંતિજ શહેરની 3 બસ.
મુસાફરોમાં પ્રસરી રાહત:મોડાસાના આઇકોનિક બસ સ્ટેશનમાં લગેજ ટ્રોલી, વ્હીલચેરની વ્યવસ્થા કરાઈ
મોડાસા શહેરમાં કરોડોના ખર્ચે બનાવેલ નવીન આઈકોનિક બસ સ્ટેશનમાં આવતા મુસાફરો અને સિનિયર સિટીઝનો તેમજ વિકલાંગ મુસાફરો બસ સ્ટેશનના મેઈન ગેટથી પ્લેટફોર્મ સુધી પહોંચવામાં છેલ્લા કેટલાય સમયથી મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. નવા બસ સ્ટેશનમાં મુસાફરોની સુખાકારી માટેની માગણી ગ્રાહ્ય રાખીને એસટી વિભાગે ડેપો શરૂ થયાના 10 માસ બાદ લગેજ ટ્રોલી અને વ્હીલચેરની ફાળવતાં મુસાફર જનતામાં રાહત થઈ છે. મોડાસા નવા આઇકોનિક બસ સ્ટેન્ડ ચાલુ થઈએ દસ મહિના થવા આવ્યા હોવા છતાં મુસાફરોને પ્રાથમિક સગવડ મળતી ન હોવાની ફરિયાદ ઉઠી છે બસ સ્ટેશનમાં આવતા ઉંમરલાયક મુસાફરોને મેઈન ગેટ થી પ્લેટફોર્મ સુધી ભારે સામાન લઈને પહોંચવામાં તકલીફ પડતી હતી અને અશક્ત મુસાફરોને પ્લેટફોર્મ સુધી પહોંચવા માટે ચાલવામાં પણ તકલીફ પડતી હતી. આ અંગે શહેરના સિનિયર સિટીઝનો અને મુસાફરોએ રજૂઆત કરતાં મુસાફરોની માગણીને ધ્યાનમાં રાખીને મોડાસાના અગ્રણી અને સામાજિક કાર્યકર જયેશભાઈ શાહ કામરાજે એસ.ટી.ના વિભાગીય નિયામક કેસી બારોટને રજૂઆત કરતાં તેમણે તાત્કાલિક ધોરણે મોડાસા શહેરના નવા આઇકોનિક બસ સ્ટેશનમાં લગેજ ટ્રોલી અને વ્હીલચેર વ્યવસ્થા કરીને મુસાફરો ની સુખાકારી માટે માટે બંને સાધનો ફાળવતા મુસાફરોને રાહત થવા અને આશા વ્યક્ત કરાઈ છે.
SOGની કાર્યવાહી:મોડાસાના બામણવાડથી બોગસ ડોક્ટર ઝડપાયો
અરવલ્લી એસઓજીએ મોડાસાના બામણવાડમાંથી બોગસ તબીબને એલોપેથીક દવાઓ તથા મેડિકલ સાધનો કુલ 10,390 ના મુદ્દામાલ સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. બામણવાડમાં શખ્સ મેડિકલ ડિગ્રી વિના ગેરકાયદે રીતે દવા રાખી દર્દીઓની સારવાર કરતો હોવાની હકીકતના આધારે બામણવાડમાં બાતમીવાળી જગ્યાએ કાર્યવાહી કરી હતી. અનિલભાઈ નવઘણભાઈ સરાણિયા (32) રહે.જીવણપુર તા.મોડાસા કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર બીમાર લોકોને તપાસી એલોપેથીક દવા સાથે ઇન્જેક્શન આપી બીમાર વ્યક્તિઓને પોતે ડોક્ટર નહીં હોવા છતાં દર્દીઓને તપાસી છેતરપિંડી કરતાં પોલીસે એલોપેથીક દવાઓ તથા મેડિકલ સાધનો મળી કુલ 10390ના મુદ્દામાલ જપ્ત કરી ટીંટોઇ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. પકડાયેલ બોગસ ડોક્ટર છેલ્લા કેટલાક વર્ષોથી જીવણપુર ખાનગી ક્લિનિક પર કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો.
પોલીસની સરાહનીય કામગીરી:તલોદમાં ભીડમાં ખોવાયેલા બાળકનું પોલીસે માતા-પિતાથી મિલન કરાવ્યું
તલોદમાં ભીડમાં ખોવાયેલા બાળકને પોલીસ દ્વારા બે જ કલાકમાં અઢી વર્ષના અજાણ્યા બાળકને શોધી કાઢી તેના માતા-પિતા સાથે મિલન કરાવ્યું હતું. તા. 28-01-2026ના રોજ તલોદના મુખ્ય બજારમાં આવેલી સાગર જનરલ કિરાણા સ્ટોર પાસેની ભીડભાડ વાળી જગ્યાએ અંદાજે અઢી વર્ષની ઉંમરનું એક બાળક રડતી હાલતમાં મળી આવ્યું હતું. આ બાળકે લાલ ટી-શર્ટ અને સફેદ ચડ્ડી પહેરેલી હતી. તલોદ માર્કેટ યાર્ડ પાછળ રહેતા ચેતન પ્રવિણભાઇ વાઘેલાએ આ બાળકને નિ:સહાય હાલતમાં જોઈ સાંજે 4 વાગ્યે તલોદ પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યું હતું. બાળક ગભરાયેલું હોવાથી કંઈ બોલી શકતું નહોતું. પોલીસ ઇન્સ્પેક્ટર સી. જી. રાઠોડ અને ટાઉન બીટના સ્ટાફે તાત્કાલિક સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. બાળકનો ફોટો શહેરના તમામ વોટસએપ ગ્રુપોમાં વાયરલ કરાયો હતો. સર્વેલન્સ અને ટેકનોલોજીની મદદથી માત્ર 2 કલાકમાં બાળકના માતા-પિતાની ભાળ મેળવી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બાળકની ઓળખ કાર્તિક અનિલભાઇ દેવીપૂજક તરીકે થઈ હતી, જે તલોદ ટાવર રોડ નજીક એચ. પી. પેટ્રોલ પંપ પાછળ રહે છે. પોલીસ દ્વારા ખરાઈ કર્યા બાદ બાળકનો કબજો તેના પિતા અનિલભાઇ વિનોદભાઇ દેવીપૂજકને સોંપાયો હતો.
બાળ તસ્કરીનો થયો પર્દાફાશ:હિંમતનગર થઈ હૈદરાબાદ જતી બાળ તસ્કરી કરતી ગેંગ ઝડપાઇ
સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાંથી નવજાત બાળકોને ખરીદી હિંમતનગરના રસ્તે હૈદરાબાદ પહોંચાડવા સક્રિય ગેંગના ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા બાદ સાબરકાંઠા- બનાસકાંઠા જિલ્લાની હદમાં સક્રિય યુનુસ નામના શખ્સને પકડવા તજવીજ હાથ ધરાઇ છે. યુનુસે 60 હજારમાં 15 દિવસના બાળકને ખરીદી રૂ.3.60 લાખમાં વેચ્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. 15 દિવસના બાળકનું રેસ્ક્યુ કરી ચાઈલ્ડ હેલ્થ ઓફિસરને સોંપાયું હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ એસીપી ભરત પટેલે જણાવ્યું હતું કે બાળ તસ્કરી સાથે સંકળાયેલ ગેંગ બાળકને લઈ હિંમતનગર તરફથી આવી બહારના રાજ્યમાં જઈ રહી હોવાની બાતમી મળતાં ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસના સંયુક્ત ઓપરેશનમાં એરપોર્ટ નજીકથી એક મહિલા સહિત ત્રણ શખ્સોની અટકાયત કરી બાળ તસ્કરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે. ત્રણ આરોપી રોશન અગ્રવાલ (રહે. હૈદ્રાબાદ મૂળ યુપી) વંદના જીગર અશોક પંચાલ (રહે. ઓઢવ અમદાવાદ મૂળ રહે. ઉત્તર પ્રદેશ અને સુમિત યાદવ (રહે. વટવા મૂળ રહે. તા. સુલતાનપુર ઉત્તરપ્રદેશ)ની પૂછપરછ કરતાં સાબરકાંઠા બનાસકાંઠાની સીમા પર દાંતા તરફ જતાં માર્ગ ઉપરથી યુનુસ નામના શખ્સ પાસેથી પંદર દિવસનું બાળક 3.60 લાખમાં ખરીદ્યું હતું. યુનુસે રૂ.60હજારમાં બાળક ખરીદ્યું હતું અને હૈદરાબાદમાં રહેતા નટરાજ નામના શખ્સને વેચવા જઈ રહ્યાની પ્રારંભિક પૂછપરછમાં કબુલાત કરી હતી. સાબરકાંઠા એલસીબી પીઆઇ ધવલ સાકરીયાએ જણાવ્યું કે હજુ સુધી સ્થળ, ચોક્કસ વ્યક્તિ વગેરેની આધિકારીક સૂચના મળી નથી પરંતુ યુનુસ નામના વ્યક્તિનું નામ બહાર આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછ બાદ જેવી વિગતો બહાર આવશે તે મુજબ તપાસ હાથ ધરાશે. જામીન પર છૂટ્યા બાદ ફરીથી બાળ તસ્કરીપકડાયેલ ત્રણ આરોપીઓ પૈકી વંદના પંચાલ અને રોશન અગ્રવાલ અગાઉ 2025માં હૈદરાબાદમાં બાળ તસ્કરીના ગુનામાં પકડાયા હતા અને જેલમાં રહેવા દરમિયાન એકબીજાના પરિચયમાં આવ્યા બાદ જામીન પર છૂટ્યા બાદ ફરીથી બાળ તસ્કરી ચાલુ કરી દીધી હતી. મેટરનિટી હોમ અને હોસ્ટેલના સેવાના ઓથા હેઠળ નવજાત શિશુઓને વેચવાનું નેટવર્કકુમારિકાઓએ અજાણતામાં કરેલ ભૂલ બાદ ગર્ભપાત શક્ય ન હોય અને બાળકને જન્મ આપવો પડે તેવી સ્થિતિમાં કેટલાક લોકો દ્વારા હોસ્ટેલ અને મેટરનિટી હોમ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. જેમાં કેટલાક તબીબ પણ ભોગ બનનાર સાથે સોફ્ટ કોર્નર રાખી સેવામાં સામેલ હોય છે. બાળકનો જન્મ થયા બાદ બાળક આવા સેવા કર્મીઓના કબજામાં જતું રહે છે અને યુનુસ જેવા વચેટીયાઓ નિઃસંતાન દંપતીઓ શોધી કાઢી નવજાતને તેમના સુધી પહોંચાડે છે. આખી પ્રક્રિયામાં ભોગ બનનાર અને તેના પરિવારને સામાજિક લાંછનની સંભાવનામાંથી બચાવી લેવાનો આશય હોવાનું જણાવાય છે.
આગ લાગી:પાલનપુર માં કચરાની આગ વીજ ટ્રાન્સફોર્મરમાં પ્રસરી
પાલનપુર સંજય ચોક નજીક બાવળોની ઝાડીમાં ગુરૂવારે બપોરના સુમારે અગમ્યકારણોસર આગ લાગી હતી. જે બાજુમાં પડેલા વીજ ટ્રાન્સફોર્મરમાં પ્રસરી હતી. દરમિયાન કોલ મળતાં પાલનપુર નગરપાલિકાના ફાયરવિભાગની ટીમ દોડી આવી હતી. અને 7000 લીટર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગથી કોઇ નુકશાન કે જાનહાની થઇ ન હતી.
પાલનપુર શહેરના માનસરોવર રોડ પર આવેલી માવજત હોસ્પિટલના ડાયાલીસ વોર્ડમાં સોમવારે સ્ટાફે પત્નીને બહાર બેસાડતાં ઉશ્કેરાયેલા દર્દીએ ભારે હંગામો મચાવ્યો હતો. તેને ડાયાલીસ મશીન તોડી નુકશાન કરી હોસ્પિટલના સ્ટાફને અપશબ્દો બોલતાં આ મામલે શહેર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પાલનપુર તાલુકાના ભુતેડી ગામના રોહિત ડાહ્યાભાઈ પટેલ છેલ્લા ત્રણ વર્ષથી નિયમિત ડાયાલીસ માટે પાલનપુર માનસરોવર રોડ પરની માવજત હોસ્પિટલ આવતા હતા. સોમવારે બપોરના સમયે તેઓ પત્ની સંજનાબેન સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા.ડાયાલીસ શરૂ થયા બાદ દર્દીની સલામતીને ધ્યાનમાં રાખી સ્ટાફે સંજનાબેનને વોર્ડની બહાર બેસવા વિનંતી કરી હતી. આ બાબતને લઇ રોહિત પટેલ ઉશ્કેરાઈ ગયા હતા અને હાજર સ્ટાફને અપશબ્દો બોલવા લાગ્યા હતા. સ્ટાફે દર્દી હોવાને કારણે શાંતિથી સમજાવી ફરી પથારીમાં સુવડાવ્યા હતા અને સાંજના સમયે ડાયાલીસ પૂર્ણ થતાં તેમને ઘરે જવા જણાવાયું હતું. પરંતુ થોડા સમય બાદ રોહિત પટેલ ફરી ડાયાલીસ વોર્ડમાં આવ્યા હતા અને પત્નીને બહાર કાઢવાના મુદ્દે ઉગ્ર બન્યા હતા. આ દરમિયાન તેમણે નિપ્રો કંપનીના ડાયાલીસ મશીનની તોડફોડ કરી હતી. જેના કારણે નુકસાન થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઘટનાને લઈ હોસ્પિટલમાં ડાયાલીસ ટેકનિશિ યન તરીકે ફરજ બજાવતાં જનક મગનભાઈ રાજગોરે દર્દી રોહિત પટેલ વિરુદ્ધ શહેર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
તંત્રની મંથર ગતિથી વાહનચાલકોને હાલાકી:જગાણાને જોડતા ગોબરી માર્ગના રિનોવેશનમાં તંત્રની ‘ગોકળગતિ’
પાલનપુરથી જગાણાને જોડતા ગોબરી માર્ગના રિનોવેશનમાં જિલ્લા પંચાયત બાંધકામ વિભાગ દ્વારા ગોકળગતિથી કામ થતા વાહનચાલકો પરેશાન થયા છે. જિલ્લા પંચાયત બાંધકામ વિભાગના સૂત્રોએ જણાવ્યું કે અહીં પાઇપલાઇનની કામગીરી ચાલી રહી છે. જે પૂર્ણ થયા બાદ જ રોડનું કામ આગળ વધશે. બીજી તરફ રોડ ખોદીને પડતો મુકાતા હાલ જગાણા સહિત જુદા જુદા વિસ્તારના લોકો અહીંથી પસાર થતા વાહનો પટકાવવાની ઘટનાઓ બની રહી છે. એમાં પણ એક સ્થળે જ્યાં પાણીની ઓવરહેડ ટાંકી આવેલી છે ત્યાં રોડ ન બનાવવા વધારે પડતું ખોદી દેવાતા વાહનો પટકાય રહ્યા છે. સ્થાનિકોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે ગોબરી માર્ગના રિનોવેશનની કામગીરી હાલમાં મંથર ગતિએ ચાલી રહી છે. જે તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તે જરૂરી છે.
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા પાલનપુરમાં સરની પ્રક્રિયા સામે વિરોધ નોંધાવ્યો હતું. કોંગ્રેસના આગેવાનોએ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરીએ એસઆઇઆર ની કામગીરીમાં ગંભીર ક્ષતિઓ અંગેના સૂત્રો પોકારી કલેક્ટર કચેરીને ગજવી હતી.જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે દાંતીવાડાના ડાંગીયામાં 400,પાંથાવડામાં 172 લોકોના ફોર્મ સાત ભરી દેવાયું છે. ડાંગીયામાં જેણે વાંધા એક સાથે રજૂ કર્યા એને પૂછ્યું તો કહ્યું મને ખબર જ નથી, આ ઉપરાંત પાલનપુર તાલુકાના માલણ ગામમાં 11 લોકો એવા છે જે હયાત છે છતાં તેમને મૃત દર્શાવીને ફોર્મ 7 ભરી દેવામાં આવ્યું હતું. પાંથાવાડા ગામના અગ્રણીએ જણાવ્યું કે અમારા ગામમાં 172 વાંધા રજૂ થયા. કોંગ્રેસે આવેદનપત્રમાં આક્ષેપ કર્યો છે કે SIR પ્રક્રિયાના નામે સાચા અને પાત્ર મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને નમૂના 7ના ફોર્મનો મોટા પાયે દુરુપયોગ કરીને નાગરિકોના મતાધિકાર છીનવી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આ પ્રકારની પ્રક્રિયા લોકશાહી પર સીધો પ્રહાર છે. મતદાર યાદીમાંથી નામ કાપવાની કાર્યવાહી તાત્કાલિક બંધ કરવામાં આવે તેમજ જે મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે તે ફરીથી યાદીમાં સામેલ કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. રજુઆત દરમિયાન કોંગ્રેસે ચેતવણી પણ આપી હતી કે જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. પાંથાવાડના તારા બહેન નામની જે મહિલાના નામે વાંધાઓ રજૂ થયા તે મહિલાએ કહ્યું હું તો શ્રમિક છું મેં કશું કર્યું નથી, આમ જુદા જુદા રજૂઆતો બાદ કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી કે જેમણે ખોટું કર્યું એમની સામે ફરિયાદ નોંધાવો. નિયમ પ્રમાણે કાર્યવાહી થશે: કલેકટર કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતોના પ્રત્યુતરમાં બનાસકાંઠા કલેક્ટર એ જણાવ્યું કે તમામ પ્રક્રિયામાં રાજકીય પક્ષોને સામેલ રાખેલા છે, 30 ડિસેમ્બર સુધી કેટલા વાંધા આવ્યા તે બધા જાણીને નિયમ પ્રમાણે કાર્યવાહી થશે. :મિહિર પટેલ કલેક્ટર બનાસકાંઠા.
વૈકલ્પિક માર્ગો પર ભાર વધ્યો:પાલનપુરમાં વડલીવાળા પરાનો માર્ગ બંધ થતાં શેરીમાં ટ્રાફિક ભારણ વધ્યું
પાલનપુરમાં વડલી વાળા પરાનો માર્ગ બંધ થતા નાના સાંકડા રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ વધ્યું છે. અહીંથી રોજિંદી અવરજવર કરતા 2 હજારથી વધુ વાહનો અટવાયા છે. ઉપરાંત વૈકલ્પિક માર્ગો પર ભાર વધ્યો છે. શોર્ટકટ માટે વાહનચાલકો સાંકડી ગલીઓમાં ઘૂસતા રહેણાંક વિસ્તારોમાં ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે. જે લોકો અજાણતાથી માલણ દરવાજાથી શહેરમાં પ્રવેશે છે તેવા લોકોને હવે કંથેરિયા હનુમાન અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ થઈને રૂટ કાપવો પડે છે. જોકે નાની સાંકડી ગલી જેવો રોડ હોવાથી સામ સામે વાહનો આવી જતા ટ્રાફિક જામના રોજે રોજ દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. માત્ર 110 મીટરના ભાગમાં હાલ આરસીસી બ્લોક નાખવાની કામગીરી અડધી પહોંચી છે. તેવામાં હજુ રોડ સપ્તાહ સુધી બંધ રહે તેવી સ્થિતિ દેખાઈ રહી છે. બીજીતરફ મોટા ભાગનો કેટલોક ટ્રાફિક કમાલપુરા અને બારડપુરાની નાની ગલીઓમાં ડાયવર્ટ થયો છે. જેના લીધે મસ્જિદ પાસે, બારડપુરા ચોક અને દિલ્હીગેટ સર્કલ સુધી વાહનોની લાંબી કતારો સર્જાય છે. માર્ગ પર બ્લોક પાથરવાની કામગીરી કરવાના લીધે રસ્તો બંધ કરાયો છે.
રેશનકાર્ડ ધારકો થયા પરેશાન:બે વાર રેશનકાર્ડ બંધ થયા બાદ ફરી ચાલુ ના થતા અરજદારને હાલાકી
પાટણ જિલ્લામાં રેશનકાર્ડ ધારકો અત્યારે વિચિત્ર ટેકનિકલ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.જે પરિવારોના રેશનકાર્ડ અગાઉ બે વખત બંધ થયા હોય તેઓ જ્યારે ફરીથી રાશન મેળવવા માટે કાર્ડ ચાલુ કરાવવા જાય છે.ત્યારે ઓનલાઈન સિસ્ટમમાં ટેક્નિકલ ખામી આવે છે. આ બાબતે પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન નરેશભાઈ પરમારે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી તેમજ કલેક્ટરને પત્ર લખી નિરાકરણ લાવવા માંગ કરી છે. જ્યારે કોઈ કાર્ડધારક મામલતદાર કચેરીમાં કાર્ડ પુનઃ શરૂ કરાવવા અરજી કરે છે.ત્યારે પોર્ટલ પર This card inclusion Stopped By Department એવું લખાણ આવે છે. આ ટેકનિકલ એરરને કારણે સ્થાનિક તંત્ર પણ લાચાર બન્યું છે અને રેશનકાર્ડ શરૂ કરી શકાતું નથી,પરિણામે અનેક જરૂરિયાતમંદ પરિવારો સરકારની સસ્તા અનાજની યોજનાથી વંચિત રહી ગયા છે. નરેશભાઈ પરમારે જણાવ્યું હતું કે, રેશનકાર્ડ ગરીબ માણસના ઘરનો ચૂલો સળગાવવાનું સાધન છે. જો ટેકનિકલ ખામીને કારણે મહિનાઓ સુધી રાશન ન મળે તો આ પરિવારોની હાલત કફોડી થઈ જાય છે.તંત્ર દ્વારા ઉચ્ચ સ્તરેથી આ સોફ્ટવેર એરર દૂર કરવામાં આવે અને ગરીબોને ન્યાય મળે તેવી રજૂઆત કરી છે. બંધ થયેલા રેશનકાર્ડ ત્રીજીવાર ચાલુ થશે નહીં પાટણ પુરવઠા નાયબ મામલતદાર હર્ષદ પટેલ જણાવ્યું હતું કે બંધ થઈ ગયેલા રેશનકાર્ડ બીજીવાર ચાલુ થાય છે.અને કોઈ કારણસર જો રેશનકાર્ડ બંધ થઈ જાય તો એ પછી ત્રીજીવાર રેશનકાર્ડ ચાલુ થતા નથી. આ ટેક્નિકલ સમસ્યાનો હાલમાં કોઈ ઉકેલ નથી ઉચ્ચકક્ષાએથી જો સમસ્યા હલ કરવામાં આવે તો જ સમસ્યા હલ થઈ શકે છે.
ચોરીનો મામલો:પાટણમાં ગેસ્ટહાઉસનાં પાર્કિંગમાંથી બાઈક ચોરાયું
પાટણ શહેરમાં નવજીવન ચાર રસ્તા પાસે આવેલા તિરુપતિ કોમ્પલેક્ષમાંથી બાઈકની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. માધવ ગેસ્ટ હાઉસમાં નોકરી કરતા અક્તરભાઇ કોટવાલે પાટણ સીટી બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.24 જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે અક્તરભાઇએ પોતાનું લાલ પટ્ટાવાળું બજાજ પલ્સર બાઈક ગેસ્ટ હાઉસના નીચેના પાર્કિંગમાં પાર્ક કર્યું હતું. જ્યાં અજાણ્યો તસ્કર આશરે 30 હજારની કિંમતના બાઈકની ઉઠાંતરી કરી રફુચક્કર થઈ ગયો હતો.
હારિજ તાલુકાના ચાબખા ગામના ખેડૂત જયંતિભાઈ પ્રજાપતિ છેલ્લા 7 વર્ષથી રાસાયણિક ખાતર અને ઝેરી જંતુનાશકોને તિલાંજલિ પ્રાકૃતિક ખેતી અપનાવી છે, જેના થકી તેઓએ વાર્ષિક 7 લાખની માતબર આવક મેળવી રહ્યા છે. જયંતિભાઈએ પોતાના ખેતરમાં ચણા, ઘઉં,અડદ અને તુવેર જેવા કઠોળની સાથે આંબા,જામફળ અને લીંબુ જેવા બાગાયતી પાકોનું મબલખ ઉત્પાદન લઈ રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે સરકારની ગાય સહાય યોજનાના ટેકાથી જીવામૃત અને ઘનજીવામૃતનો ઉપયોગ શરૂ કર્યો હતો.પરિણામે મોંઘા ખાતરનો ખર્ચ શૂન્ય થઈ ગયો અને જમીન વધુ ફળદ્રુપ બની છે. રાસાયણિક ખેતીથી વધતા રોગો વચ્ચે જયંતિભાઈ અન્ય ખેડૂતો માટે પથદર્શક બન્યા છે. શુદ્ધ અને ગુણવત્તાયુક્ત પાકને કારણે તેમને બજારમાં પણ ઊંચા ભાવ મળે છે. તેમણે ખેડૂત આલમને આહવાન કર્યું છે કે જો આવનારી પેઢીને સ્વસ્થ રાખવી હોય અને ખેતીને નફાકારક બનાવવી હોય તો પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ છે.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અંતિમ સંસ્કાર હતા. તેમના બે પુત્રો, પાર્થ અને જય પવારે મુખાગ્નિ આપી. બીજા મોટા સમાચાર નવા UGC નિયમોને લઈને રહ્યા⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ વિવાદ મામલે અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી થશે. 2. મહાત્મા ગાંધીની 79મી પુણ્યતિથિ પર PM મોદી સહિત અનેક નેતાઓ રાજઘાટ પર શ્રદ્ધાંજલિ આપશે. કાલના મોટા સમાચારો 1. અજિત પવારની ખાલી જગ્યા પત્ની સુનેત્રા ભરશે? કદાવર નેતાઓ સાથેની મુલાકાતથી ડેપ્યુટી-CM બનવાની ચર્ચાઓ તેજ, પ્રફુલ પટેલના હાથમાં NCPની કમાન આવી શકે અજિત પવારના નિધન બાદ તેમની પત્ની સુનેત્રા પવારને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. સૂત્રો અનુસાર, પ્રફુલ પટેલ, છગન ભુજબળ, ધનંજય મુંડે અને સુનીલ તટકરેએ સુનેત્રા સાથે મુલાકાત કરી છે. સુનેત્રા હાલમાં રાજ્યસભા સાંસદ છે, તેઓ હવે અજિત પવારની બારામતી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. આ ઉપરાંત, પ્રફુલ પટેલના NCPના અધ્યક્ષ બનવાની પણ ચર્ચા છે. આ પ્રસ્તાવ પર NCPના નેતાઓ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે પણ મુલાકાત કરશે. બીજી તરફ, NCP પાર્ટીનું શરદ જૂથ સાથે પણ વિલિનીકરણ થઈ શકે છે. અજિત પવારનું બુધવારે બારામતી એરપોર્ટ પર પ્લેન ક્રેશમાં નિધન થયું હતું. તેઓ 66 વર્ષના હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 2. નવા UGC નિયમો સુપ્રીમ કોર્ટે સ્થગિત કર્યા:કહ્યું, આનો દુરુપયોગ થઈ શકે છે, સરકારને નવો ડ્રાફ્ટ તૈયાર કરવાનો આદેશ આપ્યો સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા નિયમો પર આગામી આદેશ સુધી સ્થગિત કર્યા છે. CJI સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યાની બેન્ચે કહ્યું હતું કે આની જોગવાઈઓ અસ્પષ્ટ છે અને એનો દુરુપયોગ થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિયમોનો ડ્રાફ્ટ ફરીથી તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. CJI સૂર્યકાંતે કેન્દ્રને પૂછ્યું, “આપણે જાતિવિહીન સમાજની દિશામાં કેટલું હાંસલ કર્યું છે? શું હવે આપણે ઊલટી દિશામાં ચાલી રહ્યા છીએ?” કોર્ટે કહ્યું, “અમને જનરલ કેટેગરીની ફરિયાદોથી કોઈ ફેર પડતો નથી. મુદ્દો એ છે કે જે ખરેખર જરૂરિયાતવાળા ને પીડિત છે તેને ન્યાય મળવો જોઈએ. અમારી ચિંતા એ છે કે જે લોકો અનામતમાં આવે છે તેમના માટે નિવારણ પ્રથા યથાવત્ રહેવી જોઈએ.” વાંચો સંપૂર્ણ સમાચાર 3. સોના-ચાંદીના ભાવે તમામ રેકોર્ડ તોડી દીધા:ચાંદી 4 લાખને પાર, સોનામાં પણ એક જ દિવસમાં 16 હજારનો ઉછાળો; જાણો રોકાણકારોએ હવે શું કરવું જોઈએ? સોના અને ચાંદીમાં તેજી અટકવાનું નામ નથી લેતી. સોનાના ભાવમાં આજે 16,000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે, જ્યારે ચાંદી 21,000 રૂપિયા વધીને 4 લાખ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. એક તરફ, શેરબજારમાં ઘટાડો અટકતો નથી અને બીજી તરફ, સોના-ચાંદીમાં તોફાની તેજી ચાલુ છે. અત્યારસુધી સોનું માત્ર 3 હજારથી 5,000 રૂપિયા વધતું હતું, પરંતુ આજે સોનાએ રેકોર્ડ તેજી બતાવી છે. મલ્ટી કોમોડિટી માર્કેટમાં સોનું આશરે 16,000 રૂપિયા વધી ગયું છે, જ્યારે ચાંદીમાં પ્રતિ કિલો 20 હજાર રૂપિયાની તેજી આવી છે અને તેણે 4 લાખ રૂપિયાનો સ્તર પાર કરી લીધું છે. પહેલીવાર ચાંદીની કિંમત 4 લાખ રૂપિયાને પાર પહોંચી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. બ્રિટિશ PM 8 વર્ષ પછી ચીન પહોંચ્યા:કોરોનાકાળમાં ચીની કંપની હુઆવેને કાઢી મુકી હતી, હવે કહ્યું- અમેરિકા તેની જગ્યાએ, પરંતુ ચીન જરૂરી બ્રિટિશ પીએમ કીર સ્ટાર્મર બુધવારે 8 વર્ષ પછી ત્રણ દિવસની મુલાકાતે ચીન પહોંચ્યા છે. આ પહેલા 2018માં તત્કાલીન બ્રિટિશ પીએમ થેરેસા મે ચીન ગયા હતા. છેલ્લા 8 વર્ષમાં વૈશ્વિક રાજનીતિ ઘણી બદલાઈ ગઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક નીતિઓ અને નિવેદનોને કારણે યુરોપિયન દેશો નવા ભાગીદારો શોધી રહ્યા છે, આવી સ્થિતિમાં ચીન તેમને એક મજબૂત વિકલ્પ દેખાઈ રહ્યું છે. ચીન રવાના થતા પહેલા સ્ટાર્મરે મીડિયાને કહ્યું હતું કે બ્રિટનને અમેરિકા અને ચીનમાંથી કોઈ એકને પસંદ કરવાની જરૂર નથી. અમેરિકા સાથેના સંબંધો જળવાઈ રહેશે, પરંતુ ચીનને અવગણવું યોગ્ય રહેશે નહીં. વાંચો સંપૂર્ણ સમાચાર 5. પ્રયાગરાજ પ્રશાસન શંકરાચાર્યની માફી માંગશે:અવિમુક્તેશ્વરાનંદે 2 શરતો મૂકી; લખનૌના 2 મોટા અધિકારીઓ સંગમ સ્નાન કરાવશે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીથી પ્રયાગરાજ પ્રશાસન માફી માંગવા તૈયાર થઈ ગયું છે. શંકરાચાર્યના મીડિયા પ્રભારી યોગીરાજ સરકારે પોતે આની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું- શંકરાચાર્ય અચાનક માઘ મેળો છોડીને વારાણસી જતા રહેશે, પ્રયાગરાજના અધિકારીઓને આ આશા નહોતી. તેઓ વિચારી રહ્યા હતા કે માઘ પૂર્ણિમા એટલે કે એક ફેબ્રુઆરીના સ્નાન પછી શંકરાચાર્ય જશે, ત્યાં સુધીમાં તેમને મનાવી લેશે. 28 જાન્યુઆરીએ શંકરાચાર્યના વારાણસી આવ્યા પછી લખનૌના બે મોટા અધિકારીઓએ મહારાજજીનો સંપર્ક કર્યો અને પૂર્ણિમા પર માઘ મેળામાં સન્માનભેર સ્નાન કરાવવાની વાત કરી. આના પર મહારાજજીએ બે શરત મૂકી છે. પહેલી- જવાબદાર માફી માંગે, લેખિત માફીનામું આપે. બીજી- ચારેય શંકરાચાર્યનો પ્રોટોકોલ સ્નાન માટે લાગુ કરવામાં આવે. યોગીરાજ સરકારે જણાવ્યું- શાસનના કેટલાક અધિકારીઓ વારાણસી આવશે. શંકરાચાર્યને લઈને પ્રયાગરાજ લઈ જશે. તેમને માઘી પૂર્ણિમા પર સંગમ સ્નાન કરાવશે.. સંપૂર્ણ સમાચાર વાંચો 6. હિંમતનગરથી હૈદરાબાદ સુધીનો બાળ તસ્કરીનો ખતરનાક ખેલ:બાળક 3.60 લાખમાં ખરીદી અમદાવાદ એરપોર્ટ પાસે પહોંચતાં જ ક્રાઇમ બ્રાન્ચ-ATSએ ઝડપ્યા, આંતર રાજ્ય રેકેટનો ઘટસ્ફોટ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ATSએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી આંતરરાજ્ય બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ એરપોર્ટ પાસેથી એક કારમાંથી 15 દિવસના બાળકનું રેસ્ક્યૂ કર્યું હતું. આ બાળકને એક મહિલા સહિત ત્રણ વ્યક્તિ હિંમતનગરથી 3.60 લાખમાં ખરીદીને લાવ્યા હતા. આ ટોળકી બાળકોની તસ્કરી કરીને તેમને ગુજરાત, તેલંગાણા અને યુપીના રાજ્યોમાં વેચી દેતા હતા. પોલીસે હાલ ત્રણ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાતી એટીએસને એક સંયુક્ત બાતમી મળી હતી, જેના આધારે અમદાવાદ એરપોર્ટના કોતરપુર પાસે પોલીસે હિંમતનગરથી આવી રહેલી એક ગાડી રોકીને તપાસ કરી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 7. 'કચ્છમાં ફરી 2001 જેવો ભૂંકપ આવી શકે છે':લાંબા સમય સુધી આફ્ટર શોક્સ પણ ચાલુ રહેશે, દેશ-વિદેશના 135 વૈજ્ઞાનિકનાં રિસર્ચમાં ઘટસ્ફોટ વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપને તાજેતરમાં જ 25 વર્ષ પૂર્ણ થયાં છે. 26મી જાન્યુઆરી 2001ના ભૂકંપની યાદને કચ્છીઓ અને ગુજરાતીઓ ક્યારે ભૂલી શકે એમ નથી. કચ્છનો વિસ્તાર ઝોન-5માં આવતો હોઈ, નિયમિતપણે આ વિસ્તારમાં ભૂકંપીય પ્રવૃત્તિ જોવા મળતી હોય છે. તાજેતરમાં જ 23 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી ગાંધીનગરના ઈન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) ખાતે ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદ 'ઇન્ટ્રાપ્લેટ અને હિમાલયન સિસ્મોલોજી' યોજાઈ હતી. છેલ્લાં 25 વર્ષ દરમિયાન ઈન્ટ્રાપ્લેટ અને હિમાલય રીજન અંગે નોંધપાત્ર સંશોધન થયું છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : લોકસભામાં આર્થિક સર્વે રજૂ કરાયો:PMએ કહ્યું, સરકારની ઓળખ રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ, યુરોપિયન બજાર ખૂલવાથી મેન્યુફેક્ચરર માટે તકો વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : અમેરિકાના ટેક્સાસમાં નવા H-1B વિઝા જારી નહીં થાય:ગવર્નરે આવતા વર્ષે મે મહિના સુધી રોક લગાવી; 15 હજાર ભારતીયો પર અસર પડશે વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : SIR વિરુદ્ધ સુનાવણી, સુપ્રીમ કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો:અરજદારોએ કહ્યું- ECI મનમાની કરી શકે નહીં, ચૂંટણી અધિકારીઓ અદાલત નથી કે જે નાગરિકતા નક્કી કરશે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : મેલાનિયા ટ્રમ્પની ડોક્યુમેન્ટરી બ્રિટનમાં ફ્લોપ:લંડન પ્રીમિયરમાં માત્ર 1 ટિકિટ વેચાઈ, એમેઝોને ₹340 કરોડમાં રાઇટ્સ ખરીદ્યા હતા વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : દેશનું 'આર્થિક રિપોર્ટ કાર્ડ' સંસદમાં રજૂ:2026-27માં GDP ગ્રોથ 6.8%થી 7.2% રહેવાનો અંદાજ; બજેટમાં ત્રણ સેક્ટર પર વધારે ફોકસ રહેશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : દાવો- પાકિસ્તાન હવે T20 વર્લ્ડકપનો બહિષ્કાર નહીં કરે:ટીમ 2 ફેબ્રુઆરીએ કોલંબો પહોંચશે; બાંગ્લાદેશના સમર્થનમાં ટુર્નામેન્ટમાંથી હટી જવાની ધમકી આપી હતી વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : અદ્રશ્ય છાયા ગ્રહ રાહુની અજીબ માયા!:'શતભિષા' નક્ષત્રનો અદ્ભુત સંયોગ, ભગવાન શિવે પોતે કહી છે ધનવાન બનવાની રીત વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ રોડના કિનારે સોનું લૂંટવાની હોડ મધ્યપ્રદેશના ખજુરાહોમાં રાજગઢ પેલેસમાં નિર્માણ કાર્ય દરમિયાન 500 વર્ષ જૂના સોનાના સિક્કા મળ્યા. ખજાનાના સમાચાર મળતા જ અનેક લોકોએ રોડના કિનારે ખોદકામ શરૂ કરી દીધું. જોકે, વહીવટીતંત્રને હજુ સુધી કોઈ સિક્કા મળ્યા નથી. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: UGCના જાતીય ભેદભાવવાળા રેગ્યુલેશન પર સુપ્રીમ કોર્ટે સ્ટે લગાવ્યો; કહ્યું- આનો દુરુપયોગ થઈ શકે છે, શું હવે સરકાર ઝુકશે? 2. એક્સક્લૂસિવ : લગ્નમાં બગી, ફટાકડા અને નોટો ઉડાડવા પર પ્રતિબંધ: મહેમાન પણ નિયમ તોડે તો ઘરધણીને દોઢ લાખનો દંડ; સગાઈ, મામેરા, મરણપ્રસંગ માટે ભરવાડ સમાજનું 'બંધારણ’ 3. ડિજિટલ ડાકુ-4 : ડિજિટલ અરેસ્ટની ઇનસાઇડ વિગતો પહેલી જ વાર: વીડિયો કૉલમાં એવું તે શું થયું કે ONGCનાં મહિલા અધિકારીએ ₹1.36 કરોડ આપી દીધા? 4. VIDEOમાં જુઓ અજિત પવારના પ્લેન ક્રેશની છેલ્લી 35 મિનિટની કહાની: 100 ફૂટ ઉપરથી જ પ્લેન ત્રાંસું થઈ ગયું, છેલ્લા શબ્દો હતા- Ohh Shit... Ohh Shit... 5. બ્લેકબોર્ડ: કિડનેપ કરી 10 દિવસ સુધી મારો રેપ કર્યો: ભાનમાં આવી તો હાથ-પગ બાંધેલા હતા, ચાદર લોહીથી ખરડાયેલી હતી, સંબંધીએ એક લાખમાં વેચી 6. ભાસ્કર એક્સક્લૂસિવ : એરસ્ટ્રિપ ન દેખાઈ, કેમ લેન્ડ થયું અજિત પવારનું પ્લેન?: 5Kmનો નિયમ, બારામતીની 3Km વિઝિબિલિટીમાં કોણે આપી લેન્ડિંગ પરમિશન? કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ: મેષ-વૃષભ રાશિના જાતકો માટે લગ્નનો પ્રબળ યોગ, કન્યા રાશિના લોકોએ કરિયરમાં તક ઝડપવી (સંપૂર્ણ સમાચાર વાંચો)
ભાસ્કર એક્સપોઝ:અરજદારની જાણ બહાર ખોટી સહીઓથી ફોર્મ 7 ભરવાનું ષડયંત્ર
પાટણ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં અરજદારોની જાણ બહાર તેમના નામે મતદારોના નામ રદ કરવા માટે ફોર્મ 7 ભરી વાંધા અરજીઓ આપી હોવાનું ષડયંત્ર સામે આવ્યું છે. પોતે અરજદારોએ જ ફોર્મ 7ના ભર્યા હોવાની લેખિતમાં રજૂઆત આપતા હાલમાં તંત્ર દ્વારા મામલતદારને તપાસ કરી રિપોર્ટ સોંપવા માટે સૂચના અપાઈ છે. પાટણ, ચાણસ્મા, સિદ્ધપુર અને રાધનપુર બેઠક પર 19 ડિસેમ્બરથી વાંધા અરજીની શરૂ થયેલ પ્રક્રિયામાં છેલ્લા 40 દિવસમાં નામ કમી કરવા માટે 46,218 જેટલી વાંધા અરજીઓ (ફોર્મ નં.7) આવી છે.જેમાં પાટણમાં કેટલાક કિસ્સાઓમાં એક જ અરજદારના નામે 10થી 30 જેટલી અરજીઓ કરી દેવાઈ છે. તેમના દ્વારા હવે અરજીઓ જે-તે અરજદારની જાણ બહાર જ બારોબાર કરી દેવાઈ હોવાની તંત્રમાં લેખિત ફરિયાદ કરી રહ્યા છે.હાલમાં પાટણ પ્રાંતને 3 જેટલા અરજદારોએ ફોર્મ 7 ભર્યા જ ના હોવાની લેખિત રજુઆત કરતા તંત્રે તપાસ શરૂ કરી છે. સાથે તંત્ર દ્વારા ભરાયેલ ફોર્મ નંબર 7ની અરજીઓ અંગે BLOને મતદારોની ખરાઈ કરવા માટેની કામગીરી સોંપી છે. હવે ખરાઈ બાદ ફોર્મ નંબર 7 સાચા કે ખોટા ભરાયા છે તે ચિત્ર સ્પષ્ટ થશે. મારા નામે 30 વાંધા અરજીઓ ઠોકી બેસાડાઈ પાટણના બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે અજાણ્યા શખ્સોએ મારા નામની ખોટી સહી કરી અલગ-અલગ મતદારો સામે 30 જેટલા ફોર્મ નં-7 ભરી દીધા હતા. મેં ક્યાંય સહી કરી નથી કે કોઈની સામે વાંધો લીધો નથી. મને લોકોના ફોન આવતા જાણવા મળ્યું કે મારા નામે અરજી થઈ છે જેથી મેં તંત્રમાં લેખિત અરજી આપી છે કે મેં કોઈ અરજી કરી નથી.આ બાબતે યોગ્ય તપાસ કરવા માંગ કરી છે. ખોટી અરજી કરનાર સામે કાર્યવાહી થવી જોઈએ. મામલતદાર પાસે તપાસ રિપોર્ટ માંગ્યોપાટણ પ્રાંત અધિકારી હિરેન ચૌહાણે જણાવ્યું હતું કે ફોર્મ 7 ના ભર્યા હોવાની અરજદારોએ લેખિતમાં રજૂઆત આપતા તાત્કાલિક ધોરણે મામલતદારને તપાસ કરી રિપોર્ટ સબમિટ કરવા માટે સૂચના આપવામાં આવી છે. મારી ખોટી સહી આધારે વાંધા અરજીઓ થઈપાટણનાં રીમાબેનએ પ્રાંત અધિકારીને રજૂઆત કરી કે કોઈ અજાણી વ્યક્તિ દ્વારા તેમનાં નામે ફોર્મ નં.7માં ખોટી સહી કરી વાંધા રજૂ કરાયા છે.ફોર્મ નં.7 ભર્યું નથી કે કોઈ મતદારના નામ સામે વાંધો લીધો નથી તેમજ પોતાનું ચૂંટણીકાર્ડ પણ ક્યાંય રજૂ કર્યું નથી. મને અજાણ્યા વ્યક્તિઓએ તેમને ફોન પર સંપર્ક કરી આ બાબતની જાણ થતા જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને તેમના નામે થયેલા ખોટા વાંધા આધારે જો કોઈ મતદારનું નામ રદ કરાશે તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત અધિકારીની રહેશે. ટાર્ગેટ કર્યા હોય તેમ વીણી વીણીને વાંધા લેવાયા છે વકફ કમિટીનાં જનરલ સેક્રેટરી કાસમઅલી સૈયદએ જણાવ્યું હતું કે મતદાર યાદીમાંથી મારું નામ રદ કરવા માટે મારી જાણ બહાર વાંધો લેવાયો છે. મારી સામે જેણે વાંધો લીધો છે તેનો એપિક નંબર પણ ખોટો છે. જોકે તેમણે પણ આ મામલે સામે વાંધા અરજી કરી તંત્રમાં નોટિસ આપી છે.ઘણી બધી જાણીતી વ્યક્તિઓનાં નામ રદ કરવા માટે વાંધા લેવાયા છે. ટાર્ગેટ કર્યા હોય તેમ વીણી વીણીને લીધા છે. ખરાઈ કર્યા બાદ આખરી નિર્ણય લેવાશેનાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પાર્થ ગોસ્વામીએજણાવ્યું કે નામ કમી કરવા માટે જે ફોર્મ ભરાયા છે.તેમાં BLO મારફતે મતદારની ખરાઈ થશે. તેમનાંરિપોર્ટ આધારે પ્રાંત અધિકારી આખરી નિર્ણય લેશે. વિધાનસભાવાઈઝ માહીતિ
ગણપત યુનિવર્સિટીની તેજસ્વી વિદ્યાર્થિની પ્રાત્વી પંડ્યાના છ વર્ષના સંપૂર્ણ અભ્યાસ માટે ફી-માફી અને હોસ્ટેલ સહાય જાહેર કરાઈ છે. ગણપત યુનિવર્સિટી સંચાલિત બીએસ પટેલ પોલિટેકનિક કોલેજમાં આ વર્ષે ઓટોમોબાઇલ એન્જિનિયરિંગ કોર્સમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થિની પ્રાત્વી રવીન્દ્રભાઈ પંડ્યા માટે યુનિવર્સિટી દ્વારા વિશેષ સહાયની જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 10માં 75%થી વધુ ગુણ મેળવનાર પ્રાત્વીને ટી.એફ.ડબલ્યુ.એસ. (TFWS) યોજના હેઠળ ટ્યુશન-ફીમાં માફી મળી છે. આ સાથે જ, તેની ભણવાની ધગશ અને આર્થિક સ્થિતિને ધ્યાને રાખીને યુનિવર્સિટીના પ્રમુખ પદ્મશ્રી ગણપત દાદા અને શ્રીમતી મંજુલા દાદીએ છ વર્ષના ઇન્ટિગ્રેટેડ કોર્સ (ડિપ્લોમા અને બી.ટેક.) માટે હોસ્ટેલ ફી પણ માફ કરી તેની કારકિર્દીના નિર્માણમાં મોટું યોગદાન આપ્યું છે. સૌરાષ્ટ્રના આંબલા વતનની પ્રાત્વીના પિતા ગ્રામ દક્ષિણામૂર્તિ સંસ્થામાં એકાઉન્ટ્સ-ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. પ્રાત્વીના શ્રેષ્ઠ અભ્યાસ માટે તેના પિતાએ તેને ધોરણ 6 થી જ ગણપત યુનિવર્સિટીની મંજુલાબેન ગણપતભાઈ પટેલ કન્યા સૈનિક શાળામાં દાખલ કરી હતી. માતા વંદનાબહેનના વાત્સલ્ય અને સંસ્કારો વચ્ચે ઉછરેલી પ્રાત્વી હવે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ડગ માંડી રહી છે. પોતાનું સ્ટાર્ટ-અપ શરૂ કરવાની આકાંક્ષાપ્રાત્વીની મહત્વકાંક્ષા માત્ર ડિગ્રી મેળવવા પૂરતી સીમિત નથી. તેને ઉચ્ચ અભ્યાસ બાદ મારુતિ કે ટાટા જેવી નામાંકિત ઓટોમોબાઇલ કંપનીઓમાં અનુભવ મેળવીને પોતાનું સ્ટાર્ટ-અપ શરૂ કરવાની ખેવના છે. તેની આ સફરમાં પ્રો ચાન્સેલર પ્રો. ડૉ. મહેન્દ્ર શર્મા અને આચાર્ય પ્રો. ડૉ. કે. પી. પટેલ સહિત સમગ્ર ગુની (GUNI) પરિવારની શુભેચ્છાઓ તેની સાથે છે
અકસ્માત સર્જાયો:રણસીપુર નજીક કારની ટક્કરે છકડા ચાલક સહિત બે ઘાયલ
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રણસીપુર હાઇવે પર એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં રોડની ડાબી સાઈડમાં નીચે ઉભેલા એક છકડાને અમદાવાદ પાસિંગની પૂરઝડપે આવતી કારે પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં છકડાના ચાલક અને અંદર બેઠેલા મજૂર એમ બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સરદારપુર ગામના અશ્વિનભાઈ મણાભાઈ પરમાર 28 જાન્યુઆરીએ બે મજૂરો સાથે પોતાનો છકડો લઈને ઉણાદ ગામે મકાન કામ માટે જઈ રહ્યા હતા. રણસીપુર હાઇવે પર તેમણે સાઈડમાં છકડો ઉભો રાખ્યો હતો, ત્યારે સરદારપુર તરફથી આવતી જીજે 01 આરઇ 9220 નંબરની કારના ચાલકે છકડાને પાછળથી અડફેટે લીધો હતો. અશ્વિનભાઈ અને મજૂર કોદરભાઈ આદિવાસીને માથા અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
હુમલો:મહેસાણાના મગપરામાં મારી સામે કેમ જુએ છે કહી યુવક પર હુમલો
મારી સામે કેમ જુએ છે તેમ કહીને મહેસાણા મગપરામાં રહેતા યુવકના ઘરે ચાર જણા તલવાર અને છરી જેવા હથિયારો સાથે પહોંચીને મારતાં પોતાની પર હુમલો કરનાર સ્થાનિક ચાર સામે બી ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો. મગપરા વિસ્તારમાં રહેતા અજય કુમાર બચુજી ઠાકોર ઘેરથી દૂધની થેલી લેવા મગપરાના નાકા પાસે આવેલ દુકાને જતો હતો. તે સમયે અજુ રાજુજી ઠાકોરે તેની પાસે આવીને મારી સામે કેમ જુએ છે કહી છરી અને ધારિયું લઈને મારવા આવતાં તે તેની ઘર બાજુ દોડીને ભાગીને જતો રહ્યો હતો. તે સમયે અજુ ઠાકોર છરી લઈને અને તેના પિતા રાજુજી ચંદુજી ઠાકોર હાથમાં તલવાર લઈને તેમજ જયેશ ઠાકોર લોખંડની પાઇપ લઈને તેમજ અનિલજી રાજુજી ઠાકોર હાથમાં તલવાર લઈને તેમના ઘરે આવ્યા હતા અમારા ઘર સામે જોઈશ તો તને અને તારા પરિવારને જાન થી મારી નાખીશું નું કહીને આડેધડ તેને માર માર્યો હતો. સામે પક્ષે રાજુજી ચંદુજી ઠાકોર મગપરાના નાકા પાસે ઉભા હતા ત્યારે તેમના મહોલ્લાના અજય કુમાર બચુજી ઠાકોર તેની પાસે આવેલા અને તેમણે મારા કુટુંબી ભાઈ રાહુલ રમેશજી ઉપર ખૂનનો કેસ કરેલ છે તેમાં સમાધાન કેમ કરતા નથી તેમ કહેતા તેમણે તેને અમારે સમાધાન કરવાનું નથી એવું કહેતા અજય બચુજી ઠાકોર છરી કાઢીને જમણા હાથના પંજા ઉપર મારી હતી.
ઇંટ વડે હુમલો કરાયો:છોકરાઓને બૂમો પાડવાની ના પાડનાર યુવકને માથામાં ઇંટો મારી
કુકરવાડામાં છોકરાઓને બૂમો પાડવાની ના પાડનાર યુવકને માથામાં ઇંટો મારતાં 22 ટાંકા આવ્યા હતા. વસઇ પોલીસે 3 સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વિજાપુરના કુકરવાડા ખાતે રહેતા દિનેશજી હંસાજી મારવાડી પોતાના નાનાભાઈ સહિતના પરિવાર સાથે રહે છે. 27 જાન્યુઆરીએ રાત્રે તેઓ જમીને પોતાના ઘરની બહાર હાથ ધોવા માટે ગયા તે સમયે તેમના માહોલ્લામાં છોકરાઓ બૂમો પાડતા હતા. જેથી તેમણે બુમો પાડવાની ના પાડી હતી તે સમયે મારવાડી દિનેશજી પુનમાજીએ તું છોકરાઓનું નામ લઈને મને કેમ બોલે છે તેમ કહીને તેમની સાથે ઝપાઝપી કરી હતી. મોટો દીકરો રાહુલ અને મોટાભાઈ પ્રતાપજી તેમનું ઉપરાણું લઈને આવ્યા હતા અને ત્રણેય જણાએ ભેગા મળી તેમને ગડદાપાટુનો માર માર્યો હતો. ઈંટો તેમના માથાના ભાગે આડેધડ મારતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હોય લોહી નીકળતી હાલતમાં તેમને કુકરવાડાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
મનપા એક્શન મોડમાં:મનપા ટીમે બાકી વેરામાં 4 દુકાન સીલ કરી, 3 પેઢીમાંથી 2.72 લાખ વેરો મળતાં બચી
મનપા દ્વારા વર્ષોથી વેરો ન ભરનાર બાકીદારોની દુકાનો સીલ કરવામાં આવી રહી છે. જેમાં રાધનપુર રોડ, રામોસણા રોડ સહિતના વિસ્તારમાં બાકી વેરામાં સાત દુકાનોને સીલ કરવા મનપાની વેરા ટીમ પહોંચી હતી. જે પૈકી ત્રણ ચાલુ દુકાનદારોએ બાકી કુલ રૂ. 2,72,880 વેરો સ્થળ પર જ ટીમને જમા કરાવી દેતા સીલ ટળ્યું હતું અને મનપાને વસુલાત આવક થઇ હતી. જ્યારે ચાર દુકાન ને કુલ રૂ. 2,84,084 બાકી વેરો ભરપાઈ ન થતાં સીલ કરાઈ હતી. જેમાં એક ડ્રાઇવિંગ સ્કૂલની ચાલુ દુકાનનો સમાવેશ છે. આ દુકાનોની સ્થળ ઉપર વસૂલાત1. એચ.કે.ઈન્ફાકોન પ્રા.લી મહેસાણાના ડીરેક્ટર૫ટેલ હિતેશકુમાર કાન્તીલાલ, ૫ટેલ અમીતકુમાર કાન્તીલાલ-દુકાન.નં.એસ/206, આરૂષ સિગ્નોરા કોમ્૫લેક્સ,સાંઈકિષ્ણા હોસ્૫ીટલની સામે રકમ -574882. ૫ટેલ અંબાલાલ હીરદાસ- દુકાન નં.એફ-28,(ફસ્ટ ફલોર), ૫રફેકટ પ્લાઝા,રાધન૫ુર રોડ. –રકમ-802763. ચીમનલાલ પંચાલ તથા કાંતીલાલ પંચાલ -વિરાટ એન્જી.અર્બુદા ભવનનીબાજુમાં,રામોસણા રોડ –રકમ - 135116 બાકી વેરામાં આ 4 દુકાન સીલ 1. કલાસીક સ્ટરકચર પ્રા.લિ.ના ડાયરેકટર ઝાલા મહેન્દ્રકુમાર મથુરજી પુંજાજીની દુકાન નં-4, બાકી વેરો રૂ. 621682. અર્ચનાબેન સતેન્દ્રભાઈ યાદવ કલાસીક પ્લાઝા, થર્ડ ફલોર, હાઈવે રોડ, બાકી વેરો 97030 3. કલ્યાણ કો૫ોના નામથી ૫ેઢીના ભા.વ.ક.ઠાકોર મથુરજી પુજાંજી દુકાન નં-3, કલાસીક એમ્૫ાયર બાકી વેરો રૂ. 70020 4. વીણાબેન મુકેશકુમાર ૫ટેલ દુકાન નં-એસ/38,૫ંચરત્ન કોમ્૫લેક્સ, સેંકન્ડ ફલોર–બાકી વેરો રૂ. 54866
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:મહેસાણામાં વિસનગર આઇકોનિક રોડની ફૂટપાથમાં પગથિયાંનાં દબાણ
મહેસાણામાં યુજીવીસીએલથી માનવ આશ્રમ તરફ રોડ સાઇડ તાજેતરમાં જ આઇકોનિક ફૂટપાથ, પાર્કિંગ 70 ટકા અંતરમાં થયુ છે, ત્યાં એક નવી બની રહેલ હોસ્પિટલ સાઇડ ફૂટપાથમાં જ પગથિયાંના દબાણ જોવા મળ્યા હતા. ગુરુવારે બપોરે સ્થળ નિરીક્ષણ કરતા કમિશનર રવિન્દ્ર ખતાલેને હોસ્પિટલના બની રહેલ મેડિકલ સ્ટોર આગળ ફૂટપાથમાં ત્રણ પગથિયા નજરે પડતા તરત અંદરથી માણસને બોલાવીને લોકોને ચાલવા ફૂટપાથ ખુલ્લી રાખવાની હોઇ આ પગથિયાં દૂર કરવા સૂચના આપી હતી. આગળ વધતાં એક દુકાનદારે ગાડી પાર્કિંગમાં આડી મૂકવાના બદલે ઉભી ફૂટપાથ સુધી ચડાવી દીધી હતી. તરત દુકાનદારને પણ પાર્કિંગ કેવી રીતે કરવું તેની પાર્કિંગ સમજ આપીને ગાડી પાર્કિંગમાં આડી મૂકાવી હતી. મહાનગરપાલિકાના કમિશનર રવિન્દ્ર ખતાલે, ડેપ્યુટી મ્યુ.કમિશનર એ.બી.મંડોરી, અર્બન પ્લાનર કમ સિટી બ્યુટિફીકેશન એક્સપર્ટ સૂચારિતા પાન્ડેની ટીમ એજન્સી સાથે બપોરે દોઢ વાગ્યાના અરસામાં આઇકોનિક રોડ કામગીરીના નિરીક્ષણમાં નીકળી હતી. પોસ્ટઓફીસ ચોકડીથી ચિરાગ પ્લાઝા સામે એક સાઇડ સુધી ફૂટપાથ,પાર્કિંગ, યુટિલિટી અને એજ વોલની કામગીરી પૂર્ણતાએ છે, જેમાં 50 ટકા અંતર સુધીમાં ફૂટપાથ અને પાર્કિંગ થઇ ગયું હોઇ ત્યાં સુધી મનપાની ટીમએ ચાલીને બ્લોક, પાર્કિંગનું નિરીક્ષણ કરીને એજન્સીને જરૂરી સુધારા સૂચવ્યા હતા. પગથિયાં મનપા ટીમ એ દૂર કરવા સૂચવ્યું
વેધર રિપોર્ટ:ઉ.ગુ.માં આગમી 10 દિવસમાં દર ત્રીજા દિવસે ઠંડીમાં વધ-ઘટ જોવા મળી શકે
ઉત્તર ગુજરાતમાં ગુરુવારે મોટાભાગે ઉત્તર-પૂર્વ દિશાનો પવન ફૂંકાતા વાતાવરણ સામાન્ય રીતે વાદળછાયું રહ્યું હતું. તેના કારણે દિવસ અને રાતના તાપમાનમાં સવા 2 ડિગ્રી સુધીનો વધારો નોંધાયો હતો, જેથી ઠંડીનું જોર આંશિક રીતે ઘટ્યું હતું. પાછલા એક સપ્તાહથી જે રીતે ઠંડીમાં વધઘટ જોવા મળી રહી છે, તેવી જ સ્થિતિ 10 દિવસ સુધી યથાવત રહેવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં ગુરુવારે દિવસ અને રાતના તાપમાનમાં પોણા ડિગ્રીથી લઈને સવા 2 ડિગ્રી સુધીનો વધારો નોંધાયો હતો. લઘુત્તમ તાપમાનમાં પોણા ડિગ્રીના વધારા સાથે મુખ્ય પાંચ શહેરોમાં ઠંડીનો પારો 11.3 થી 12.8 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહ્યો હતો. જોકે, સવારના સમયે ભારે પવન ફૂંકાતા ઠંડીનો અનુભવ યથાવત રહ્યો હતો. બીજી તરફ, દિવસના તાપમાનમાં સવા 2 ડિગ્રીના વધારા સાથે પારો 28 ડિગ્રીની આસપાસ રહ્યો હતો, આગામી 10 દિવસ દરમિયાન દર ત્રીજા દિવસે ઠંડીમાં વધઘટ જોવા મળી શકે છે. આગામી 48 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. ત્યારબાદ 1 ફેબ્રુઆરીથી ઉત્તર ગુજરાતમાં ત્રણ દિવસ માટે ઠંડા પવનનું જોર વધવાની સંભાવના છે. 1થી 3 ફેબ્રુઆરી દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાથી ઠંડીનું જોર ફરી વધશે. જોકે, 4 ફેબ્રુઆરીથી ઠંડા પવનોનું જોર ઘટવાની શક્યતા છે, જેના કારણે લઘુત્તમ તાપમાનમાં ફરી 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.
SIR કામગીરી:મહેસાણામાં BLOનું નામ યાદીમાંથી કમી કરવા માટે ફોર્મ સાત ભરાઈ ગયું
એસઆઈઆર (SIR)ની કામગીરી હેઠળ મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા દરમિયાન નામ કમી કરવા માટેના ફોર્મ નં. 7 નો દરેક વિધાનસભા ક્ષેત્રની કચેરીઓમાં ખડકલો થયો છે. આ પ્રક્રિયામાં અનેક જગ્યાએ આડેધડ વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી રહી છે, જેના કારણે મતદારોમાં નારાજગી જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મહેસાણા અને બહુચરાજી વિધાનસભા વિસ્તારમાં અંદાજે પાંચ-પાંચ હજારથી વધુ વાંધા અરજીઓ આવી છે. વિસનગરના સવાલા ગામમાં 1180, પાલડીમાં 63 અને બહુચરાજીના ચંદ્રોડા ગામમાં 561 જેટલી વાંધા અરજીઓ ફોર્મ નં. 7 સાથે જમા થઈ છે. આ દરમિયાન એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પણ સામે આવ્યો છે. મહેસાણા કલેક્ટર કચેરીના એક વિભાગમાં સરકારી નોકરી કરતા અને હાલ BLO (બ્લોક લેવલ ઓફિસર) તરીકે ફરજ બજાવતા એક યુવાનનું નામ પણ મતદાર યાદીમાંથી કમી કરવા માટે અરજી કરવામાં આવી છે. આ યુવાન ભારતીય નાગરિક નથી તેવો ગંભીર આક્ષેપ વાંધા અરજીમાં કરવામાં આવ્યો છે. આ અંગે BLOએ આઘાત વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેમનોપરિવાર સાત પેઢીથી ગામમાં રહે છે અને તેમની પાસેજમીનના તમામ પુરાવા હોવા છતાં આવો વાંધોલેવાયો છે. મામલતદાર કચેરીએ પણ આ યુવાન સામેવાંધો આવ્યો હોવાની પુષ્ટિ કરી છે. હાલમાં ચૂંટણીતંત્ર ડ્રાફ્ટ યાદીની તાર્કિક ખામીઓ સુધારવા અનેનોટિસો આપીને સુનાવણી કરવાની કામગીરીમાંવ્યસ્ત છે, જેના કારણે આ નવી આવેલી હજારો વાંધાઅરજીઓની ચકાસણી કે નિકાલની કવાયત હજુ શરૂકરવામાં આવી નથી. સરકારી કચેરીઓ દ્વારા હજુસુધી આ અરજીઓની ચોક્કસ ગણતરી કે નિકાલઅંગે કોઈ સત્તાવાર વિગતો જાહેર ન કરતા ચૂપકીદીસેવવામાં આવી રહી છે નોટિસ-સુનાવણી પછી નિર્ણય લેવાશે મહેસાણા જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી અને વિધાનસભા ચૂંટણી અધિકારી સૂત્રોએ કહ્યું કે, સામાન્ય રીતે ફોર્મ નં. 7 સાથે આવેલી વાંધા અરજીઓમાં અરજકર્તા અને જેમનું નામ કમી કરવા વાંધામાં દર્શાવેલ છે તે હિત-અસરકર્તા બંનેને બીએલઓ મારફતે નોટિસ બજાવી બંનેને સુનાવણીમાં બોલાવે અને ત્યારપછી વાંધા અંગેનો નિર્ણય લેવાય આ પદ્ધતિ છે. વાંધા અરજી કેવી છે તેને ધ્યાને લઇને નિયત માપદંડ ચકાસીને અધિકારી નિર્ણય લેશે.
યાત્રિઓ આપે ધ્યાન:ગતિમાં વધારો કરવા સાબરમતી મહેસાણા વચ્ચેની ચાર ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો
પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોની ગતિમાં વધારો કરવા તેમજ સમયપાલન વધુ સુધારવાના ઉદ્દેશ્યથી અમદાવાદ મંડળની ચાર ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે આ બદલાવ 1 ફેબ્રુઆરી, 2026થી અમલમાં આવશે. આ ચારેય ટ્રેનોના સમયમાં સાબરમતીથી મહેસાણા વચ્ચેના સ્ટેશનો પર ટ્રેનોના રોકાણ અને પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર કરાયો છે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને મુસાફરી દરમિયાન વધુ સુવિધા અને સમયસર સેવા મળી રહે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને 30 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના રોજ બે સ્ટેશને સવારે 5.02 કલાકે, પાટણ સ્ટેશને સવારે 5.36 કલાકે,ભીલડી સ્ટેશને 6.50 કલાકે અને ધાનેરા સ્ટેશનેસવારે 7.35 કલાકે આવશે. મહેસાણા, પાટણ અનેધાનેરા સ્ટેશન પર 2-2 મિનિટ, જ્યારે ભીલડી સ્ટેશનપર 5 મિનિટ ઉભી રહેશે. બે વન-વે સ્પેશિયલ ટ્રેનો દોડશે-સાબરમતી–બીકાનેર વન-વે સ્પેશિયલ : ટ્રેન નં.09491 સાબરમતી–બીકાનેર વન-વે સ્પેશિયલશુક્રવાર, 30 જાન્યુઆરીના રોજ સાબરમતીસ્ટેશનથી સાંજે 5:50 કલાકે પ્રસ્થાન કરશે અને બીજાદિવસે સવારે સવારે 6:30 કલાકે બીકાનેર પહોંચશે.આ ટ્રેન ખાતે સાંજે 6.47 કલાકે, જ્યારેપાલનપુર સ્ટેશન પર રાત્રે 8.48 કલાકે આવશે. બંનેસ્ટેશન પર ટ્રેન 2-2 મિનિટ ઉભી રહેશે. આ ટ્રેનોના સમયમાં બદલાવ કરાયોસાબરમતી–જોધપુર વંદે ભારત એક્સપ્રેસ : ટ્રેન નં. 12462 સાબરમતી–જોધપુર વંદે ભારત એક્સપ્રેસ હવે સાબરમતીથી સાંજે 4:45 વાગ્યાના બદલે 4:55 વાગ્યે પ્રસ્થાન કરશે. મહેસાણા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય સાંજે 5:28/5:30 વાગ્યાના બદલે 5:38/5:40 કલાકનો રહેશે. - સાબરમતી–આગ્રા કૅન્ટ અને ગ્વાલિયર એક્સપ્રેસ : ટ્રેન નં. 12548 સાબરમતી–આગ્રા કૅન્ટ એક્સપ્રેસ (સપ્તાહમાં 4 દિવસ) તથા ટ્રેન નં. 22548 સાબરમતી–ગ્વાલિયર એક્સપ્રેસ (સપ્તાહમાં 4 દિવસ) હવે સાબરમતીથી સાંજે 4:55 વાગ્યાના બદલે 5:00 વાગ્યે પ્રસ્થાન કરશે. મહેસાણા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય સાંજે 5:40/5:42 વાગ્યાના બદલે 5:47/5:49 વાગ્યે રહેશે - સાબરમતી–મહેસાણા ડેમુ : ટ્રેન નં. 79431 સાબરમતી–મહેસાણા ડેમુ હવે સાબરમતીથી સાંજે 5:05 વાગ્યાના બદલે 5:10 વાગ્યે પ્રસ્થાન કરશે. આ ટ્રેન ચાંદખેડા સ્ટેશન પર સાંજે 5:16 ને બદલે 5:17 કલાકે, ખોડિયાર સ્ટેશન પર સાંજે 5:22 ને બદલે 5:23 કલાકે, કલોલ સ્ટેશન પર સાંજે 5:32 ને બદલે 5:33 કલાકે, ઝુલાસણ સ્ટેશન પર સાંજે 5:42 ને બદલે 5:43 કલાકે, ડાંગરવા સ્ટેશન પર સાંજે 5:50 ને બદલે 5:51 કલાકે, આંબલિયાસણ સ્ટેશન પર સાંજે 5:57 ને બદલે 5:58 કલાકે, જગુદણ સ્ટેશન પર સાંજે 6:06 ને બદલે 6:07 કલાકે અને મહેસાણા સ્ટેશન પર 6:28 કલાકે આવશે.
ભાસ્કર ખાસ:શહેરમાં આજથી પ્રથમવાર ત્રિ-દિવસિય વિન્ટર ફેસ્ટિવલ
મહેસાણામાં પહેલીવાર મહાનગરપાલિકા દ્વારા સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં શુક્રવારથી ત્રિદિવસિય વિન્ટર ફેસ્ટિવલ શરૂ થઇ રહ્યો છે. જ્યાં 10 હજાર બેઠક ક્ષમતાના આ સ્ટેડિયમમાં લોક સંસ્કૃતિ, કલા અને કૌશલ્યનો ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમોની રમઝટ જોવા મળશે અને સંકુલ પ્રવેશને રંગબેરંગી રોશની સાથે સુશોભિત કરી નયનરમ્ય આકર્ષિત કરતું નજરાણુ તૈયાર કર્યું છે. મહેસાણાના આંગણે યોજાનાર સાંસ્કૃતિક પર્વમાં મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી નિ:શુલ્ક પ્રવેશ હોઇ પરિવાર, મિત્ર વર્તુળ સાથે આ મહોત્સવને વધુ યાદગાર બનાવશે. મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નગરસ્ય ઉન્નતિ: સર્વેષાં હિતાર્થના મંત્ર ને ઉજાગર કરતાં મહેસાણા વિન્ટર ફેસ્ટ 2026નું ત્રિ-દિવસિય ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મનપાના ડેપ્યુટી મ્યુ.કમિશનર એ કહ્યું કે, આ ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ શહેરના જાહેર સ્થળોને જીવંત બનાવી સ્થાનિક કલા અને વ્યાપારને પ્રોત્સાહન પૂરું પાડવાનો છે. આ ફેસ્ટિવલમાં બુક ફેર, ફૂડ સ્ટોલ્સ, શોપિંગ, પેઈન્ટિંગ એક્ઝિબિશન અને કિડ્સ ઝોન જેવી વિવિધ પ્રવૃત્તિનો આનંદ માણવા મળશે. કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ કાર્યક્રમ સ્થળને રોશનીથી શણગારાયું હતું. ભરતનાટ્યમ, કથ્થક, નૃત્યનાટિકા સહિતના કાર્યક્રમો30 જાન્યુઆરી (શુક્રવાર) :1. સાંજે 7:30 થી 8:00 રંગ શારદા ક્લાસિકલ એકેડેમી દ્વારા ભરતનાટ્યમ, કથ્થક અને નૃત્યનાટિકા2. રાત્રે 8:00 થી 9:30 બંજારા મ્યુઝીકલ ગ્રુપ દ્વારા ઇન્ડિયન ક્લાસિકલ વોકલ એન્ડ સ્પિરિચ્યુઅલ મ્યુઝિક 3. રાત્રે 9:30 થી 11:00 બંજારા મ્યુઝીકલ ગ્રુપ દ્વારા રોક બેન્ડ પરફોર્મન્સ 31 જાન્યુઆરી (શનિવાર) :1. સવારે 6:30 થી 08:00 અંતરમન ગ્રુપ દ્વારા યોગ મેડિટેશન ઇવેન્ટ2. સાંજે 7:00 થી 08:00 લોક સાહિત્ય કલાકાર અજય જે. બારોટ ગ્રુપ દ્વારા લોકડાયરાની રમઝટ3. રાત્રે 8:00 થી 9:00 ઓપન માઈક ઇવેન્ટ4. રાત્રે 9:00 થી 11:00 પ્રસિદ્ધ લોક ગાયક કલાકાર સાગરદાન ગઢવી દ્વારા લોક-સંગીતોત્સવ 1 ફેબ્રુઆરી (રવિવાર): 1. સાંજે 07:00 થી 7:30 શોર્ટ ફિલ્મ સ્ક્રીનીંગ અને ક્લીન નવરાત્રી, ગ્રીન નવરાત્રી પુરસ્કાર2. સાંજે 7:30 થી 8:30 રાકેશ સ્વામી ગ્રુપ દ્વારા ગીત, ગઝલ અને લોકસંગીત ની પ્રસ્તુતિ 3. રાત્રે 8:30 PM થી 11:00 ગુજરાતના પ્રસિદ્ધ લોક ગાયક કલાકાર કીર્તિદાન ગઢવીનો લાઈવ કોન્સર્ટ
રાધનપુર સર્કલની ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે તંત્ર દ્વારા સર્કલથી 100 મીટરના વિસ્તારને નો-પાર્કિંગ અને નો-ટેક્સી ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ હેતુસર એક ડઝનથી વધુ સૂચનાત્મક સાઇનબોર્ડ પણ લગાવવામાં આવ્યા છે, તેમ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે. વાહનચાલકો આ સાઇનબોર્ડની નીચે જ બેફામ રીતે વાહનો પાર્ક કરી રહ્યા છે. આ ઉપરાંત, શટલ વાહનો માટે અલગ વ્યવસ્થા હોવા છતાં, ચાલકો સર્કલ પરથી જ પેસેન્જર ભરી રહ્યા છે, જેના કારણે ટ્રાફિક સિગ્નલના ટ્રાયલ છતાં સર્કલને જોડતા માર્ગો પર જામ સર્જાય છે અને ફ્રી-લેફ્ટ માર્ગો અવરોધાઈ રહ્યા છે. બંધ કરાયેલો કટ લોકોએ ફરી ખોલી નાખ્યો: ટ્રાફિકના ભારણને ઘટાડવા માટે તાજેતરમાં રાધનપુર રોડ પર ગોવર્ધન સોસાયટી નજીકનો રાહદારીઓ માટેનો કટ પટ્ટી લગાવીને બંધ કરવામાં આવ્યો હતો. જોકે, અડધો કિલોમીટર જેટલું અંતર કાપવાનું ટાળવા માટે કેટલાક સ્થાનિકોએ આ પટ્ટી હટાવીને કટ ફરીથી ખુલ્લો કરી દીધો હતો. આ ગેરકાયદેસર કટમાંથી રિક્ષા અને ફોર વ્હીલર વાહનોની અવરજવર શરૂ થતાં ગુરુવારે ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. નો-પાર્કિંગ ઝોનમાં વાહનચાલકોને અઘોષિત છૂટ :મહાનગરપાલિકાદ્વારા શહેરમાં આડેધડ પાર્કિંગ રોકવા માટે ટોઇંગ સેવા શરૂ કરવામાંઆવી છે, પરંતુ રાધનપુર સર્કલ પાસે આ કામગીરી નિરર્થક સાબિત થઈરહી છે. ટોઇંગની ટીમ દિવસમાં બે વાર રાધનપુર સર્કલ પાસેથી પસારથાય છે, પરંતુ તેઓ માત્ર પીળા પટ્ટાની બહાર ઉભેલા વાહનો સામેકાર્યવાહી કરી સંતોષ માને છે. સર્કલ પરના નો-પાર્કિંગ અને નો-ટેક્સીઝોનમાં ઉભા રહેતા વાહનો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી,જાણે તેમને નિયમો તોડવાની અઘોષિત છૂટ મળી હોય તેવી સ્થિતિસર્જાઈ છે,. આમ, તંત્રની ઉદાસીનતાને કારણે ટ્રાફિકના નિયમો માત્રકાગળ પર જ સીમિત રહી ગયા છે.
ફરિયાદ:ટ્રક વાળવા મુદ્દે બોલાચાલી, પ્રૌઢ પર પાડોશીનો ટામી વડે હુમલો, ધમકી
માંગરોળ તાલુકાના શીલમાં ટ્રક વાળવા મુદે બોલાચાલી કરી એક શખ્સે પ્રૌઢ શ્રમિક પર લોખંડની ટામી વડે હુમલો કરી ઇજા પહોંચાડી ધમકી આપી હતી. આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, શીલમાં વહાર પ્લોટ વિસ્તારમાં રહેતા 50 વર્ષીય વજુભાઈ ગોરધનભાઈ ચાવડાના ઘર પાસે પાડોશી ફેજલ યુનુસ પોતાની ટ્રક વાળી રહ્યો હતો, ત્યારે વજુભાઈએ તેને ટ્રક ધીમે વાળવા માટે ટકોર કરી હતી. જેનાથી ઉશ્કેરાઈ જઈને શખ્સે ગાળાગાળી શરૂ કરી હતી અને ટ્રકમાંથી લોખંડની ટામી કાઢી વજુભાઈના માથાના ભાગે ઝીંકી દીધી હતી. હુમલામાં પ્રૌઢને ગંભીર ઈજા થતાં લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યા હતા. હુમલાખોરે જતી વખતે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે માંગરોળ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે વજુભાઈની ફરિયાદ આધારે શીલ પોલીસે આરોપી ફેજલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ધરપકડ:બુકર ફળિયા પાસેથી એક યુવક ઓટોમેટીક પિસ્ટલ સાથે પકડાયો
શહેરમાં બુકર ફળિયા પાસેથી પોલીસે યુવકને ઓટોમેટીક પિસ્ટલ સાથે પકડી લઈ રૂપિયા 25,000નો મુદામાલ કબજે કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રો.પીઆઇ વી. જે.સાવજની સુચના મુજબ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઇ વાય. એન. સોલંકી સ્ટાફના સાથે પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ટીમને બાતમી મળી હતી કે, બુક૨ ફળીયામાં આવેલ મેમણ જમાતખાના, સીદીપીર દરગાહ પાસે એક શખ્સ પિસ્ટલ સાથે આંટાફેરા ફરે છે. જેથી તુરંત બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા 29 વર્ષીય નેહાદ ઉર્ફે વસીમ વાહીદભાઈ લાખાણીને પેન્ટના નેફામાંથી દેશી હાથ બનાવટની ઓટોમેટીક પીસ્ટલ સાથે પકડી લીધો હતો. ખામધ્રોળ રોડ પર આવેલ નવી આરટીઓ પાસે કેમ્બ્રીજ યમુના નગરમાં રહેતો મુળ બુકર ફળીયા પાસે મેમણ જમાતખાનાના એપાર્ટમેન્ટમાં રહેતો નેહાદ ઉર્ફે વસીમ પાસેથી રૂપિયા 25,000નો મુદામાલ કબજે કરી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ભાસ્કર વિશેષ:ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના રૂટમાં કોઇ પ્રવેશ ન કરે તે માટે થાંભલા લગાવવાનુ શરૂ
આગામી તારીખ 1 ફેબ્રુઆરીને રવિવારના રોજ 18મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાનાર છે. આ સ્પર્ધાની તૈયારી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. સ્પર્ધાના રૂટ પર લોકો પ્રવેશ ન કરે તે માટે થાંભલા લગાવવાનુ કામ શરૂ કરવામાં આવ્યુ છે. 18મી અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં 12 રાજ્યોમાંથી કુલ 4 કેટેગરીના મળી કુલ 541 સ્પર્ધકો ભાગ લેશે. આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સિનિયર ભાઈઓ 196, જુનિયર ભાઈઓ 134, સિનિયર બહેનો 120 અને જુનિયર બહેનો 91 રવિવારે ગિરનાર સર કરવા દોટ મુકશે. આ સ્પર્ધામાં સિનિયર - જુનિયર ભાઈઓ માટે ભવનાથ તળેટી થી અંબાજી મંદીર 5500 પગથીયાં સુધી અને સિનિયર - જુનિયર બહેનો માટે ભવનાથ તળેટીથી માળી પરબ સુધી 2200 પગથીયાં સુધી દોડ યોજાશે. આ સ્પર્ધાની તૈયારીના ભાગ રૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ 8 સમિતીની રચના પણ કરવામાં આવી છે. ઉપરાંત 30 અને 31 જાન્યુઆરીએ સ્પર્ધકોનુ સિવિલમાં મેડિકલ ચેકઅપ કરાશે.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:બહુમાળી ભવનમાં પાઇપ લીકેજ થતા ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ભરાયુ
જૂનાગઢ બહુમાળી ભવનમાં વારંવાર સુપરવાઇઝરની બેદરકારીથી સફાઇ, લાઇટીંગ ચાલુ રહી જવી સહિતની અનેક સમસ્યા જોવા મળી રહી છે. જેમાં છેલ્લા 5 દિવસથી પાઇપ લીકેજ થતા ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ભરાયેલુ રહે છે. જેને કારણે અરજદારને ચાલવામાં હાલાકી પડી રહી છે. બહુમાળી ભવનના કર્મચારીઓએ જણાવ્યુ કે, છેલ્લા 5 દિવસથી પાઇપ લીકેજ થવાથી દિવાલ તેમજ ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ભરાયેલુ છે. પ્રવેશદ્વારમાં જ પાણી ભરાયેલુ હોવાથી અરજદારો તેમજ કચેરીના સ્ટાફને આવન-જાવનમાં મુશ્કેલી પડી રહી છે. ટાઇલ્સમાં પાણીને કારણે પડી જવાય તેવી સ્થિતી ઉભી થઇ છે. આ બાબતે બહુમાળી ભવનના સુપરવાઇઝરને રજૂઆત કરવા છતા કોઇ ધ્યાન આપતુ નથી. આ ઉપરાંત અનેક વાર સફાઇ, લાઇટીંગ ચાલુ રહી જવી સહિતની બાબતે પણ બેદરકારી જોવા મળી રહી છે.
કાર્યવાહી:અગત્સ્ય હોસ્પિટલને જાહેરમાં ન્યુસન્સ ફેલાવવા બદલ રૂપિયા 25 હજારનો દંડ
મહાનગરપાલિકા દ્વારા અગત્સ્ય હોસ્પિટલને બાયોમેડિકલ વેસ્ટ ડોર-ટુ-ડોર કલેકશન ગાડીમાં નાખતા ન્યુસંશ ફેલાવવા બદલ 25 હજારનો દંડ ફટકાર્યો હતો. મનપાની સેનીટેશન શાખા દ્વારા શહેરના બાયપાસ રોડ વોર્ડ નંબર 5માં આવતી અગત્સ્ય હોસ્પિટલમાં સેનેટરી ઇન્સ્પેક્ટરની ટીમ દ્વારા ચેકીંગ કરતા કચરા સાથે બાયોવેસ્ટ નાખતા હોય તેવું જાણવા મળેલ મુજબ 25000નો દંડ કરવામાં આવ્યો તેમજ હાલ આ ચેકીંગ ચાલુજ રહેશે જેથી કોઈ એ જાહેર માં ન્યુસંશ ન ફેલાવવા તાકીદ કરવામાં આવી હતી.
ભવનાથમાં સુદર્શન તળાવ પાસે શિવગીરી ગુરુ જયદેવગીરી દ્વારા થયેલા ગેરકાયદે દબાણને બુધવારે રાત્રે એસડીએમ અને પોલીસ કાફલા ની હાજરીમાં તોડી પાડવામાં આવ્યું ત્યારે ત્યાંથી અડધી ગાડી ભરાય એટલા 60 જેટલા તલવાર, ભાલા, ધારિયા, કુહાડી અને છરા જેવા ઘાતક શસ્ત્રો મળી આવ્યા હતા. આમ છતાં એ સમયે ભવનાથ પીઆઇ એમ. સી . પટેલે આવા કોઈ જ હથિયારો મળ્યા હોવાની બાબતનો ઇન્કાર કરીને સમગ્ર બાબત પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ભાસ્કરની ઇન્વેસ્ટિગેશન ટીમે સત્ય શોધી લીધું હતું અને પીઆઇના ઇનકાર થતા હકીકત બેધડક રીતે પ્રકાશિત કરી હતી. દરમિયાનમાં ગુરુવારે આ કિસ્સામાં ભવનાથ પોલીસે 135 હેઠળ ગુનો નોંધ્યો હતો અને તેમાં અહીંથી માત્ર એક જ હથિયાર મળ્યું હોવાનું બતાવતા નવો વિવાદ જન્મ્યો છે. અલબત્ત, આ એક જ હથિયાર બતાવવામાં પણ પીઆઇ પટેલની ટીમે મોટો ભાંગરો વાટ્યો હતો. ડેઇલી રિપોર્ટમાં તેમણે આ એક હથિયાર તરીકે લોખંડની કુહાડી બતાવી હતી જ્યારે એફઆઈઆરની વિસ્તૃત વિગતમાં એક હથિયાર તરીકે તલવાર બતાવી છે. પોલીસ દ્વારા જે ડેઇલી રિપોર્ટ આપવામાં આવે છે તેમાં આ ઘટનામાં લાકડાના હાથાવાળી અઢી ફૂટની લોખંડના ફણાવાળી અને એક બાજુ ધારવાળી લોખંડની કુહાડી બતાવાઈ હતી. જોકે ભાસ્કરે એફઆઇઆરનો અભ્યાસ કર્યો ત્યારે તેમાં આજ ઘટનામાં એક હથિયાર તરીકે લોખંડની તલવાર બતાવાઈ હતી. પોલીસ તંત્રના જ બંને રિપોર્ટમાં ઉક્ત વિસંગતતા દેખાઈ આવે છે. આરોપી 5 જિલ્લામાંથી 1 વર્ષ તડીપારસુદર્શન તળાવ પાસે રહેતા શિવગીરી મહારાજ દિગંબર મહારાજ બુધવારે સાંજે તલવાર સાથે મળી આવતા તેના વિરુધ્ધ પોલીસમાં કલમ 135 હેઠળ ગુનો નોંધાયો હતો. અગાઉ પણ સાધુ સામે મારામારી સહિતના 4 ગુના નોંધાયા હોય તેમની સામે તાત્કાલિક અસરથી ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાના માર્ગદર્શનમાં ભવનાથ પોલીસે તડીપારની દરખાસ્ત કરી હતી. જેના આધારે એસડીએમએ ગુરુવારે શિવગીરીને જૂનાગઢ ઉપરાંત પોરબંદર, સોમનાથ, અમરેલી અને રાજકોટ જિલ્લામાંથી 1 વર્ષ માટે તડીપાર કરવાનો હુકમ કર્યો હતો. જેના પગલે પોલીસે તેને તડીપાર કરી દીધો હતો. એક નહીં, 60 હથિયાર મળ્યા, જેબધા પોલીસનાં કબજામાં છેસુદર્શન તળાવ પાસે જે ડિમોલિશન કરાયુ હતુ જેમાં 60 જેટલા હથિયારો મળી આવ્યા હતા. આ તમામ હથિયારો ભવનાથ પોલીસે કબજે કર્યા છે, આ હથિયારો પોલીસ કસ્ટડીમાં છે. અત્યારે આ સાધુને 5 જિલ્લામાંથી તડિપાર કરવામાં આવ્યો છે. > ચરણસિંહ ગોહિલ, એસડીએમ, જૂનાગઢ
કૌભાંડ:ભેસાણની ત્રણ મંડળીમાં લાખોની ઉચાપત સાથે ખેડૂતોના 1.10 કરોડ એફડીના પણ ચાંઉ થઈ ગયા !
ભેસાણ તાલુકાની સેવા સહકારી મંડળીમાં નાણાં ઉપાડી લેવાનું કૌભાંડ સામે આવ્યું હતું જોકે તેમાં તપાસ હજુ કાચબા ગતિએ ચાલી રહી છે.અને નક્કર કોઈ જ કાર્યવાહી ન થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ભેંસાણ પંથકના છોડવડી, નવીધારીગુંદાળી અને વાંદરવડ સેવા સહકારી મંડળીમાં ખેડૂતોના નામે લાખો રૂપિયા ઉપાડી કૌભાંડ કરાયું હતું બાદમાં બેંક જ ફરિયાદી બની હતી અને આ ત્રણેય મંડળી પર એફ.આઈ.આર દાખલ કરવામાં આવી હતી અને મંત્રી તેમજ પ્રમુખે ઉચાપત કરી હોવાની વિગતો બહાર આવી હતી. આ બનાવ વર્ષ 2023 માં બન્યો હતો જેમને ત્રણ વર્ષનો સમયપણ વીતી ગયો છે છતાં કોઈ જ પગલાં લેવામાં ન આવ્યાં હોવાનું વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું.આ ઉપરાંત ઉચાપત તો ઠીક છે ખેડૂતોએ પોતાની મહેનતના નાણાંની એફડી કરાવી હતી.આ ત્રણેય ગામના ખેડૂતોની માત્ર એફડીની રકમ 1.10 કરોડની છે પણ શાખાનું જ ઉઠમણું થયું હોય આ નાણાં પણ ફસાઈ ગયા છે. ફરિયાદ બાદ શુ હોઈ છે આખી પ્રક્રિયા અહીં સમજોજો કોઈ મંડળી કે સહકારી બેંકમાં ઉચાપત થાય તો જિલ્લા રજીસ્ટ્રાર તપાસ કરે છે.બાદમાં શાખાને ફડચામાં નાખે છે અને ફડચા અધિકારીનું નિમણુંક થતી હોય છે.અને બાદ સરકાર વહીવટ પોતાના હસ્તક કરી લેશે અને રિપોર્ટના આધારે ચોકસી તપાસ કરે છે જેમાં કોને કેટલી રકમ આપવાની છે અને કોની પાસેથી કેટલી રકમ વસૂલ કરવાની થાય છે જે બાદ કોને કેટલુ ખોટું કર્યું છે જે સાચા લોકો છે તેમને નાણાં પરત કરો અને ખોટા છે તેમની પાસેથી વસુલ કરવા માટે અહેવાલ તૈયાર થાય છે. અનેક મંડળીમાં ખેડૂતોના નામે કૌભાંડ થયુંઆ પંથકની અનેક મંડળીમાં ખેડૂતોના નામે કૌભાંડ થયું છે પણ એ હજુ રેકર્ડ પર નથી કારણ કે આ કેસમાં એફ.આઈ.આર થઈ નથી જે મુદ્દે પણ તપાસ કરવાની માંગ ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ કરી છે.
જાહેરનામુ:હથિયારબંધી અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનુ જાહેરનામુ જાહેર કરાયું
પોરબંદર જિલ્લા વિસ્તારમાં સુલેહ શાંતિ જળવાઇ રહે તેમજ કોઈ જાતનો અનિચ્છનીય બનાવ બને નહી તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રેખાબા સરવૈયા દ્વારા જાહેરનામુ જાહેર કરવામાં આવ્યુ છે.જાહેરનામા અનુસાર શસ્ત્રો, તલવાર, ભાલા, બંદુક, ખંજર તથા સામાન્ય રીતે રામપુરી બનાવટ વાળા કોઇ પણ જાતના છરી કે છરી જેવું હથિયાર વળે નહી તેવું, છેડેથી અણીવાળુ પાનુ હોય તેવી છરી સાથે રાખી ફરવાની અથવા તેવી કોઇ બીજી ચીજ લઇ જવી નહી. કોઇપણ સ્ફોટક પદાર્થો લઇ જવા નહી. પથ્થરો અથવા બીજા શસ્ત્રો અથવા તે શસ્ત્રો ફેંકવાથી અથવા નાખવાના યંત્રો અથવા સાધનો લઇ જવા નહી, એકઠા કરવા નહી, તથા તૈયાર કરવા નહી. કોઇ સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલ લઇ જવી નહીં. વ્યકિતઓ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પૂતળા દેખાડવા કે સળગાવવા નહીં.તેમજ જે છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલ કરવાથી તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા બીજા કોઇ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવાથી, દેખાડવાથી અથવા તેનો ફેલાવો કર્યાંથી આવા અધિકારીના અભિપ્રાય પ્રમાણે સુરૂચિ અથવા નિતીનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજયની સલામતી જોખમાતી હોય અથવા જેને પરિણામે રાજય ઉથલી પડવાની સંભવ હોય તેવા છટાદાર ભાષણ આપવાની, તે ચાળા વિગેરે કરવાની અથવા તે ચિત્રો, નિશાનીઓ વિગેરે તૈયાર કરવાની, દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવો નહીં.આ જાહેરનામુ તા.30/01/2026 થી તા.27/02/2026 સુધી સમગ્ર પોરબંદર જિલ્લા વિસ્તારમાં અમલી રહેશે.
તપાસની માંગણી:એસઆઈઆરની કામગીરી દરમ્યાન ફોર્મ નંબર 7ની 8000થી વધુ અરજીઓના ફોર્મ ભરાયા
એસ.આઇ.આર.ની કામગીરીમાં ફોર્મ નંબર 7ના વાંધા અરજીની એકી સાથે 8000 થી વધુ અરજીઓના ફોર્મ ભરવામાં આવ્યા છે,તેની સામે સુન્ની અંજુમને ઇસ્લામે પારદર્શક વહીવટ સાથે તપાસની માંગણી કરી છે. હાલમાં ચાલી રહેલ એસ.આઈ.આર.પ્રક્રિયા અંતર્ગત નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 દ્વારા જે વાંધા અરજીઓ સ્વીકારવામાં આવશે કે આવી હશે તેમાં ઘણી તથ્ય વગરની અરજીઓ દ્વારા મૂળ મતદારો હેરાન થઈ શકે છે. જ્યારે કોઈ વ્યકિત અન્યના નામ સામે વાંધો ઉઠાવે, ત્યારે જે તે મતદારને નોટિસ આપતા પહેલા પ્રથમ તબકકે ફરીયાદી પક્ષને નોટિસ ફટકારી તેની અરજીમાં રજુ કરેલા તથ્યો, પુરાવા અને આધારની સંપુર્ણ ખરાઈ કરવામાં આવે, ફરીયાદીને રૂબરૂ બોલાવવામાં આવે કે ફરીયાદી પાસે પુરતા પુરાવા છે કે કેમ? જો તપાસમાં સાબિત થાય કે ફરીયાદીએ પાયા વિહોણી, ખોટી અથવા રાજકીય દ્વેષભાવથી ફરીયાદ કરી છે, તો સરકારી કામગીરીમાં અડચણ ઉભી કરવા બદલ તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ફોર્મ નંબર-7 અંતર્ગત નામ કમી કરાવવા અંગેની અરજીઓ માટે ફરીયાદી પક્ષનો વાંધો સાચો સાબિત થાય ત્યારબાદ જ વોટર આઈ.ડી. ધારકને નોટિસ પાઠવવામાં આવે, યોગ્ય ખરાઈ કર્યા વગર સીધી મતદારને નોટિસ પાઠવવાથી સામાન્ય નાગરીકોમાં ભય અને માનસિક કનડગત પેદા ન થવી જોઈએ તેવી પોરબંદર સુન્ની અંજુમને ઇસ્લામના સભ્યો દ્વારા આવેદનપત્ર માંગ કરી હતી.
વાહનચાલકોને હાલાકી:રાણાવાવ જતો બાયપાસ રોડ અતિ બિસ્માર
પોરબંદરથી રાણાવાવ જતો બાયપાસ રોડ અતિ બિસ્માર સ્થિતિમાં છે. રોડ ઉબડખાબડ હોવાને કારણે ચાલકોને નજીકના રોડ પરથી પસાર થવું પડે છે. સામસામા વાહન આવતા હોવાને કારણે વાહન અકસ્માતનો ભય રહે છે. પોરબંદરથી રાણાવાવ જતી વખતે રાણાવાવ બાયપાસ રોડ આવેલ છે. આ બાયપાસ રોડ અતિ બિસ્માર સ્થિતિમાં છે. માર્ગ પર ભરતી અને કાંકરા છે તેમજ ઉબડખાબડ રસ્તો છે, જેને કારણે વાહન ચલાવવું કપરું બને છે. રાણાવાવ જતો બાયપાસ રોડ હોવાથી અનેક વાહન ચાલકો પસાર થતા હોય છે. મહત્વની વાત એછેકે, આ રસ્તો ધૂળિયો છે અને નવીનીકરણ કરવામાં આવ્યું નથી. રાણાવાવ જતી વખતેનો આ મહત્વનો રોડ જ બિસ્માર હોવાથી નજીકના માર્ગ પરથી વાહન ચાલકોને પસાર થવું પડે છે. ઉલ્લેખનીય એછેકે, નજીકનો રોડ સારો છે પરંતુ સામસામા વાહન અહીંથી પસાર થાય છે. મોટી બસ થી લઈને નાના વાહનો આ રસ્તા પરથી સામસામા પસાર થાય છે, જેને કારણે વાહન અકસ્માતનો ભય રહે છે. જો બાયપાસ રોડનું નવીનીકરણ કરવામાં આવે તો પોરબંદરથી રાણાવાવ જતા વાહન ચાલકોની હાલાકી દૂર થાય તેમજ સામસામાં વાહન પસાર કરવામાં અકસ્માતની શક્યતા ઘટી શકે તેમ છે. ચોમાસા દરમ્યાન નજીકના રોડ પર પાણી ભરાય ત્યારે બિસ્માર રસ્તાનો ઉપયોગ ફરજિયાત મહત્વની વાત એછેકે, રાણાવાવમાં ભારે વરસાદ અને ઉપરવાસનું પાણી આવે ત્યારે રાણાવાવથી પોરબંદર જતા બાયપાસ પુલ પરનો રસ્તો બંધ થઈ જાય છે. ગત ચોમાસા દરમ્યાન જ આ રોડ પર પાણી ભરાઈ જતા રસ્તો બંધ કરવો પડ્યો હતો જેથી વાહન ચાલકોને ફરજિયાત બિસ્માર રસ્તા પરથી પસાર થવું પડે છે જેને કારણે વાહન ચાલકોને ભારે હાડમારી વેઠવી પડી હતી. બિસ્માર રોડનું નવીનીકરણ જ એકમાત્ર ઉપાય છે.
બેઠક:વાર્ષિક હિસાબ, પ્રગતિ અહેવાલ અને ખેડૂતલક્ષી અને ઉપયોગી પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરવામાં આવી
પોરબંદર જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાપટ ખાતે 21મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયા અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખાપટના વર્ષ-2025ના વાર્ષિક પ્રગતિ અહેવાલ તથા વર્ષ-2026ના વાર્ષિક એક્શન પ્લાન કેન્દ્રના વડા ડૉ. એચ.આર. વદર દ્વારા રજુ કરવામાં આવ્યો હતો સાથે જ વિવિધ વિભાગોના પ્રગતિ અહેવાલ અને આગામી વર્ષની આયોજન બાબતે ડૉ. વી.એમ. પરમાર (બાગાયત તથા પશુપાલન) અને પ્રો. મિલન નંદાણીયા (પાક સંરક્ષણ તથા પાક ઉત્પાદન) દ્વારા વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. વિગતવાર ચર્ચા બાદ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આગામી વર્ષ દરમિયાન ખેડૂતલક્ષી અને ઉપયોગી પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો કેવીકે દ્વારા હાથ ધરાતી પ્રથમ હરોળની પ્રદર્શન પ્રવૃત્તિઓ વધુ વ્યાપક રીતે અમલમાં મૂકી શકાય તે માટે સુદામા ડેરી, પોરબંદરના ચેરમન તેમના હસ્તકના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફંડમાંથી જરૂરી નાણાં ફાળવવાની બાહેંધરી આપી હતી અને બેઠક સફળતાપૂર્વક પૂર્ણ થઈ અને કૃષિ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે સંકલિત પ્રયત્નો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી. બેઠકમા સુદામા ડેરીના ચેરમેન ડૉ. આકાશ રાજશાખા, જિલ્લા ખેતીવાડી અધિકારી એચ.એ. ત્રિવેદી, નાયબ બાગાયત નિયામક કલ્પના પંચાલ, નાયબ ખેતી નિયામક-તાલીમ તથા પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા, પોરબંદર શીમા શર્મા, આઈ.સી.એ.આર. ભારતીય મગફળી સંશોધન સંસ્થા, જુનાગઢ તથા નાબાર્ડના પ્રતિનિધિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, નાયબ પશુપાલન વિભાગના પ્રતિનિધિઓ તેમજ પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહી કૃષિ ક્ષેત્રે વિકાસની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
સ્વાસ્થ્ય માટે વોક કરવાની આદત અમૃત સમાન:શિયાળામાં ચોપાટી અને ગાર્ડનમાં નાગરિકો વોક કરવા ઉમટ્યા
પોરબંદરમાં શિયાળાની મોસમ શરૂ થતાં જ ચોપાટી તેમજ શહેરના ગાર્ડનોમાં સવાર અને સાંજના સમયે વોક કરનાર નાગરિકોની સંખ્યા વધી રહી છે. ઠંડી અને સ્વચ્છ હવામાં કરવામાં આવતી નિયમિત વોક આરોગ્ય માટે અત્યંત લાભદાયી હોવાથી લોકો સ્વસ્થ જીવનશૈલી તરફ વધુ જાગૃત બન્યા છે. પોરબંદરની ચોપાટી પર ઠંડા પવન અને સવારની તાજગી સાથે વોક કરવી લોકો માટે આરોગ્ય અને આનંદ બંનેનું સંયોજન બની રહે છે. આમ તો ચોપાટી ખાતે નિયમિત રીતે લોકો વોક કરવા આવે છે અને સવારની તાજગી માણે છે. પોરબંદરની સરકારી હોસ્પિટલના ફિઝિયોથેરાપિસ્ટ ડો. ધવલ કાથરોટીયાએ જણાવ્યું છે કે, સ્વાસ્થ્ય માટે વોક કરવાની આદત અમૃત સમાન છે. નિયમિત વોક કરવાથી હૃદયની કાર્યક્ષમતા સુધરે છે, રક્તપ્રવાહ યોગ્ય રહે છે, વજન નિયંત્રણમાં રહે છે અને શરીરમાં ચુસ્તતા આવે છે. શિયાળાની સવારમાં વોક કરવાથી માનસિક તણાવ દૂર થાય છે અને દિવસભર ઉત્સાહ અનુભવાય છે, સાંધાની જડતા ઘટાડે છે, જેથી વોક કરવું જરૂરી હોવાનું જણાવ્યું હતું. શિયાળામાં વોક કરતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું ?શિયાળામાં વોક કરતી વખતે ગરમ કપડાં પહેરવા, ખાસ કરીને ગળું, કાન, હાથ ઢાંકવા, ચાલતા પહેલાં 5-10 મિનિટ વોર્મ-અપ કરવુ, શરૂઆત ધીમે કરો, પછી વોકની ગતિ વધારો, ખૂબ ઠંડી હવા હોય તો નાકથી શ્વાસ લો. દમ, સાયનસ, BP હોય તો વહેલી સવારની ધુમ્મસ ટાળો અને સૂર્યપ્રકાશવાળા સમયે ચાલવાનું રાખવું જોઈએ તેવું ડો. ધવલ કાથરોટીયાએ જણાવ્યું છે.
કાર્યવાહી કરવા રજૂઆત:પોરબંદરમાં ગેરકાયદેસર હેલોજન લાઇટોથી વાહન અકસ્માતનો ભય વધ્યો
પોરબંદર શહેર તથા આસપાસના વિસ્તારમાં અનેક વાહનોમાં ગેરકાયદેસર રીતે હેલોજન લાઇટો તેમજ મંજૂરી વિના વધારાની તેજસ્વી લાઇટો લગાડવામાં આવી છે, જેના કારણે માર્ગ સુરક્ષાને ગંભીર ખતરો ઊભો થયો છે. આવા વાહનો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. રાત્રિના સમયે હેલોજન લાઇટોની અતિ તેજ રોશનીના કારણે સામે આવતા વાહનચાલકોને માર્ગ સ્પષ્ટ દેખાતો નથી, પરિણામે વાહન અકસ્માતોની શક્યતા વધી જાય છે. પદયાત્રીઓ, દ્વિચક્રી વાહનચાલકો તેમજ વડીલો માટે આ લાઇટો ગંભીર જોખમરૂપ સાબિત થઈ રહી છે. આર.ટી.આઈ. દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી મુજબ કેટલાક વાહનોને આરટીઓ દ્વારા હેલોજન લાઇટોનું પાસીંગ આપવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે, જે કાયદેસર રીતે યોગ્ય નથી. જેથી આરટીઓને કડક તાકીદ કરવામાં આવે કે તારીખ ફેબ્રુઆરી 2026 બાદ કોઈપણ વાહનને હેલોજન લાઇટોનું પાસીંગ આપવામાં ન આવે. હાલ માર્ગ પર ફરતા વાહનોમાં લગાડેલ હેલોજન તથા વધારાની લાઇટો તાત્કાલિક કાઢી નાબુદ કરવામાં આવે તેમજ નિયમ મુજબ દંડ અને સજાની જોગવાઈ અમલમાં મુકવામાં આવે તેવી પોરબંદરના સિનિયર સિટીઝન પુંજાભાઈ લાખાભાઇ કેશવાલાએ જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિતમાં રજૂઆત કરી છે. એક દિવસ ઝુંબેશ ચલાવી સંતોષ માની લીધો !ચાલુ માસે કમલાબાગ સર્કલ પાસે ટ્રાફિક પોલીસ તથા આરટીઓ પોરબંદર દ્રારા સંયુક્ત વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. વાહનોમાં ગેરકાયદેસર એલઈડી લાઈટ લગાવી ફરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરી આવા વાહન ચાલકો વિરૂદ્ધ દંડનીય કાર્યવાહી કરી રૂ.9,000નો દંડ આપવામા આવ્યો હતો.
વાહનચાલકોને ભારે મુશ્કેલી:ફાયર બ્રિગેડ રેલ્વે ફાટક બંધ, રોડના સમારકામ કામગીરી હાથ ધરાઈ
પોરબંદરના ફાયર બ્રિગેડ રોડ પર આવેલ રેલ્વે ફાટકના રોડના સમારકામ માટે છેલ્લા 2 દિવસથી બંધ કરી કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આ કામગીરીને લઈને દિવસ દરમ્યાન અહીંથી પસાર થતા હજારો વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. રેલ્વે વિભાગ દ્વારા તાજેતરમાં જ કડીયા પ્લોટ રોડ પર આવેલ રેલ્વે ફાટકના માર્ગનું સમારકામ માટે બંધ રાખી કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે આ કામગીરી પૂર્ણ થતાં રેલ્વે વિભાગે પોરબંદર શહેરના પી.જી.વી.સી.એલ.વર્તુ ળ કચેરીથી ફાયર બ્રિગેડ તરફ જતા રસ્તે આવેલ રેલ્વે ફાટક વાહનચાલકો માટે બંધ કરી રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.આ કામગીરી છેલ્લા 2 દિવસથી ચાલતી હોવાથી અહીંથી દિવસ દરમ્યાન પસાર થતા હજારો વાહનચાલકો ભારે મુશ્કેલી વેઠવી પડી હતી.
વાતાવરણ:પોરબંદરમાં મહતમ 1 અને લઘુતમ તાપમાન 3 ડિગ્રી વધ્યું
પોરબંદરમાં મહતમ તાપમાન 1 ડિગ્રી વધીને 28 ડિગ્રી નોંધાયું છે જ્યારે લઘુતમ તાપમાન 3 ડિગ્રી વધીને 14 ડિગ્રી નોંધાયું છે તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ 35 ટકા યથાવત રહ્યું છે. તાપમાનમાં વધારો થતા ખાસ કરીને બપોરે ઠંડીમાં આંશિક રાહત મળી છે. પોરબંદરમાં ગઈકાલે બુધવારે મહતમ તાપમાન 27 ડિગ્રી નોંધાયું હતું જ્યારે ગુરુવારે મહતમ તાપમાન 1 ડિગ્રી વધીને 28 ડિગ્રી નોંધાયું છે અને ગઈકાલે બુધવારે લઘુતમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું હતું તેની સામે ગુરુવારે લઘુતમ તાપમાન 3 ડિગ્રી વધીને 14 ડિગ્રી નોંધાયું છે અને છેલ્લા 5 દિવસથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ 35 ટકા રહ્યું છે. તાપમાનમાં વધારો નોંધાતા શહેરમાં બપોરે ઠંડીમાં આંશિક રાહત મળી છે.
ટેકાના ભાવે મગફળી ખરીદી:5643 ખેડૂતો પાસેથી 3,67,742 ગુણી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાઈ
પોરબંદરના માર્કેટયાર્ડ ખાતે પોરબંદર તાલુકાના ખેડૂતો માટે ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે જેમાં 5643 ખેડૂતો પાસેથી 3,67,742 ગુણી મગફળીની ખરીદી કરવામાં આવી છે. આ કેન્દ્રમાં અત્યારસુધીમાં 7108 ખેડૂતોને વેચાણ માટે જાણ કરાઈ હતી જેમાંથી 5643 ખેડૂતો વેચાણ માટે આવ્યા હતા. પોરબંદર જિલ્લામાં 80 હજાર હેકટરમાં મગફળીના પાકનું વાવેતર થયું હતું.જિલ્લામાં દર વર્ષે મગફળીના પાકનું રેકોડબ્રેક ઉત્પાદન પણ થાય છે તેમજ મોટાભાગના ખેડૂતો દ્વારા ઉત્પાદિત કરેલ મગફળી ટેકાના ભાવે જ દર વર્ષે વેચાણ કરવામાં આવે છે જેથી દર વર્ષે જિલ્લામાં અન્ય જિલ્લાની સરખામણીમાં પોરબંદર જિલ્લામાં વધુ મગફળી ટેકાના ભાવે ખરીદી થાય છે. પોરબંદરના માર્કેટયાર્ડ ખાતે પોરબંદર તાલુકાના ખેડૂતો માટે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી 9 નવેમ્બરથી શરૂ કરવામા આવ્યું હતું.જેમાં અત્યારસુધીમાં 5643 ખેડૂતો પાસેથી 3,67,742 ગુણી એટલે કે 1,28,70,970 કિલો મગફળીની ખરીદી કરવામાં આવી છે.પોરબંદર તાલુકામાં ટેકાના ભાવે રજિસ્ટ્રેશન કરાવેલ કુલ 7108 ખેડૂતોને વેચાણ માટે જાણ કરતા તેમાંથી 5643 ખેડૂતો વેચાણ માટે આવ્યા હતા. મોટાભાગની ખરીદી પૂર્ણપોરબંદર જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી હતી ત્યારે આ હાલ જિલ્લાના તમામ સેન્ટરો પર ટેકાના ભાવે ખરીદી પૂર્ણ થવાને આરે છે.હવે માત્ર ગણ્યા ગાંઠ્યા જ ખેડૂતો ખરીદીમાં બાકી હોવાનું પણ જાણવા મળ્યું છે.
સુવિધા:1 ફેબ્રુઆરીથી 18 કોચની પોરબંદર- જોધપુર સ્પેશિયલ ટ્રેન ઉપડશે
રેલ્વે ડિવિઝન દ્વારા પોરબંદરના રેલ્વે સ્ટેશનથી 1 ફેબ્રુઆરીના રોજ સ્પેશિયલ ટ્રેઈન ઉપડશે.આ ટ્રેઈન માત્ર એક ટાઈમ જ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સ્પેશિયલ ટ્રેઈનનું બુકિંગ પણ પોરબંદર ખાતે 29 જાન્યુઆરીથી બુકિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. રેલ્વે વિભાગ દ્વારા મુસાફરોની સુવિધાને લઈને સ્પેશિયલ ટ્રેઇન શરૂ કરવામાં આવે છે ત્યારે ભાવનગર ડિવિઝન દ્વારા પણ રાજસ્થાનના જોધપુર જવા માટે પોરબદરથી વન ટાઈમ સ્પેશિયલ ટ્રેઈન ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ટ્રેઇન પોરબંદરના રેલ્વે સ્ટેશનથી 01 ફેબ્રુઆરી 2026 (રવિવાર), રાત્રે 19.40 કલાકેથી રવાના થશે અને બીજા દિવસે બપોરે 13.00 કલાકે જોધપુર ખાતે પહોંચશે. આ ટ્રેઈનમાં જવા માટે પોરબંદર ખાતેથી 29 જાન્યુઆરી 2026 થી બુકિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે.આ સુવિધાથી વેપારીઓ, વિદ્યાર્થીઓ અને યાત્રાળુઓને મોટો ફાયદો થશે.આ સ્પેશિયલ ટ્રેઇનમાં 18 કોચ ઉપલબ્ધ થશે જેમાં 10 જનરલ અને 6 સ્લીપર કોચ ઉપલબ્ધ કરવામાં આવશે.
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્રારા છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના તમામ જિલ્લાઓમા પ્રમુખની નિમણૂંક કરવામા આવી હતી. પરંતુ ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી અને કોષાધ્યક્ષની નિમણૂંકો અન્ય રાજ્યમા ચૂંટણીના કારણે ગુંચમા પડ્યુ હતુ. રાષ્ટ્રીય ભાજપા અધ્યક્ષ તરીકે સત્તાવાર રીતે નિતીન નબીનની નિયુક્તી થતા જ તમામ રાજ્યો માટે સંગઠનની બાકી રહેલી નિયુક્તીને પણ આખરી ઓપ આપી જિલ્લા સંગઠનની નિમણૂંકો જાહેર કરવામા આવી હતી. છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ઉમેશભાઈ રાઠવા દ્રારા જિલ્લા સંગઠનનુ માળખુ જાહેર કરવામા આવ્યુ હતુ. જેમા બોડેલી તાલુકામાંથી ઉપપ્રમુખ તરીકે સંદીપભાઈ શર્મા,મહામંત્રી તરીકે પુષ્કરભાઈ પટેલ,મંત્રી તરીકે પરિમલ પટેલ, કોષાધ્યક્ષ તરીકે નરેન્દ્ર શિવચરણ શાહ,મહિલા મોરચાના પ્રમુખ તરીકે સ્નેહાબેન તડવી, કિસાન મોરચા પ્રમુખ તરીકે બળવંતસિંહ સોલંકી, યુવા મોરચા મહામંત્રી તરીકે ઉમેશ રાઠવા, લઘુમતી મોરચા મહામંત્રી તરીકે સાદીકઅલી કુરેશીનો છોટાઉદેપુર જિલ્લાની ટીમમા સમાવેશ કરાયો હતો. જેને બોડેલી ભાજપાના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને શુભેચ્છકોએ ફટાકડા ફોડી, મીઠાઈ ખવડાવી આનંદ વ્યક્ત કર્યો હતો.
બાઇક ચોરીના કેસમાં મોટી સફળતા:અલગ અલગ રાજ્યમાંથી ચોરાયેલ ચાર મોટરસાઇકલ સહિત બે ઇસમો ઝડપાયા
છોટાઉદેપુર રંગપુર પોલીસ દ્વારા બે ઇસમો વિપુલભાઈ રતુભાઈ કિરાડ ઉંમર વર્ષ 20 રહેવાસી ગોળઆંબા પટેલ ફળિયા તાલુકો કઠીવાડા જિલ્લો અલીરાજપુર હિતેશભાઈ પર્વતભાઈ કિરાડ ઉંમર 20 ગોળઆંબા ડુંગર ફળિયા તાલુકો કાઠીવાડા જિલ્લો અલીરાજપુરને ચાર મોટરસાયકલ સાથે પોકેટ કોપ ઇ ગુજકોપ એપ્લિકેશનની મદદથી ઝડપી પાડવામાં આવ્યા છે. છોટાઉદેપુરના રંગપુર પોલીસ મથકના પીઆઇ કેડી કેવડિયા અને પોલીસ સ્ટાફના માણસો રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હલ્દી મહુડી ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં મધ્યપ્રદેશના કઠીવાડા તરફથી બે ઈસમો અલગ અલગ મોટરસાયકલ નંબર પ્લેટ વગરની હતી. આધાર પુરાવા ન હોવાથી શંકા જતા પૂછપરછ કરતા તેઓ બંને પાસે બીજી બે મોટરસાયકલ મળી કુલ ચાર મોટરસાયકલ છળકપટ સાથે ચોરી હોઇ આરોપી વિપુલભાઈ રતુભાઈ કિરાડ ઉંમર વર્ષ 20, હિતેશભાઈ પર્વતભાઈ કિરાડ ઉંમર 20 બંને રહેવાસી ગોળઆંબા પટેલ ફળિયા તા. કઠીવાડા જિ. અલીરાજપુર હોવાનું કબૂલ્યું હતું. હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન, રાજગઢ તથા અલીરાજપુર, એમપી તથા ગોધરા ડિવિઝન વિસ્તારમાંથી મોટર સાયકલો ચોરી કરેલ હોય ચાર મોટરસાયકલ જેની કિંમત રૂા. 1.40 લાખ મળી આવતા બી એન એસ એસ કલમ 106 મુજબ કબજે કરી પકડાયેલ બંને ઈસમો વિરુદ્ધ બી એન એસ એસ 35 (1)(ઈ ) મુજબ કાર્યવાહી કરી હાલોલ પોલીસ ટાઉન પોલીસ સ્ટેશન, રાજગઢ, અલીરાજપુર અને ગોધરા પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ કરાઇ છે.
રહેણાંક વિસ્તાર પર પડ્યું ઝાડ:ગોધરામાં આઇએમએ બિલ્ડિંગ ઉતારતી વખતે નાસભાગ સર્જાઈ
ગોધરામાં મેસરી નદીના કિનારે આવેલી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) પંચમહાલ જિલ્લા બ્રાન્ચની જૂની ઇમારતને ઉતારવાની કામગીરી દરમિયાન ગુરુવારે ગંભીર બેદરકારી સામે આવી હતી. નવિનીકરણની પ્રક્રિયા હેઠળ ઝાડ કાપતી વખતે તેનો મોટો ભાગ નદીના પટમાં આવેલા રહેણાંક વિસ્તાર પર પડતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ગોધરા ખાતે ગુરુવારના રોજ જ્યારે ઇન્ડિયન મેડિકલ એસો. (IMA) પંચમહાલ જિલ્લા બ્રાન્ચની જૂની ઇમારત ઉતારવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે અચાનક એક વિશાળ ઝાડ કાપતી વખતે તેનો વજનદાર હિસ્સો નદીના પટમાં વસવાટ કરતા લોકોના મકાનો તરફ પડ્યો હતો. ઝાડ પડવાનો અવાજ આવતા જ રહેણાંક વિસ્તારમાં રહેતા લોકો જીવ બચાવવા માટે ઘરની બહાર દોડી આવ્યા હતા. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને થોડીવાર માટે અરેરાટી વ્યાપી ગઈ હતી. ઇમારત ઉતારવાની ચાલતી કામગીરી દરમ્યાન નજીકમાં આવેલ રેડક્રોસ બ્લડબેંકના છાપરા અને વરસાદી પાઈપો તૂટી જવાથી નુકસાન થયું છે. ઝાડ નીચે આવેલા એક નાના મંદિર પર પડતા મંદિરના માળખાને પણ ક્ષતિ પહોંચી છે. ઘટનાના પગલે સ્થળ પર લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.
બાળ વિવાહ મુક્તિ રથ 71 ગામમાં ફરશે:પંચમહાલ જિલ્લામાં 2 વર્ષમાં 33 બાળ લગ્ન તંત્ર દ્વારા અટકાવાયા
પંચમહાલ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં તંત્ર 33 બાળલગ્ન અટકાવી દીધા છે. ત્યારે જિલ્લાને બાળલગ્ન મુક્ત બનાવવા માટે બાળ વિવાહ મુક્ત રથ જિલ્લાના ગોધરા, ઘોઘંબા અને કાલોલના 71 ગામમાં ફરીને જાગૃતિ લાવશે. આધુનિકતાની મોટી મોટી ગુલબાંગો મારતા આપણા સમાજમાં બાળલગ્નોનું સદીઓથી ચાલતું દૂષણ હજુએ છે અને એની સામે કાયદો કેટલો લાચાર છે એ તો આપણને દરવર્ષે લગ્નગાળામાં સામે આવતા બાળલગ્નના કિસ્સા પરથી જ જાણી શકાય છે. પંચમહાલ જિલ્લામાં બાળલગ્ન ઘોઘંબા, મોરવા(હ), ગોધરા તાલુકા સહીતના આંતરીયાળ ગામોમાં થાય છે. પંચમહાલ સમાજ સુરક્ષા વિભાગને માહિતી મળતા બાળલગ્ન અટકાવે છે. જિલ્લામાં બે વર્ષમાં કુલ 33 બાળલગ્ન અટકાવીને ફરીથી આવુ પંગલુ ના ભરે તે માટે લખાણ લખવાની કાર્યવાહી કરી છે. જિલ્લામાં બાળલગ્ન કેટલીક જ્ઞાતિમાં બેરોકટોક ચાલે છે. એક બાજુ સરકાર દેશને બાળલગ્ન મુક્ત કરવા અભિયાન ચલાવી રહી છે. જેના સંદર્ભે ગોધરા ખાતે બાળ વિવાહ મુક્તિ રથનું લીલી ઝંડી આપી કલેકટર દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. ‘બાળ વિવાહ મુક્તિ રથ'' પંચમહાલ જિલ્લાના ગોધરા, કાલોલ અને ઘોઘંબા તાલુકાના કુલ 71 ગામોમાં ભ્રમણ કરીને જનજાગૃતિ ફેલાવશે. પુરુષ માટે 21 વર્ષ અને મહિલા માટે 18 વર્ષથી ઓછી ઉંમરે થતા લગ્નએ કાયદેસરનો અપરાધ છે. બાળલગ્નની જાણ થાય તો ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર 1098 અને 112 પર કોલ કરીને જાણ કરતા બાળ લગ્ન અટકવી દેશે. બે વર્ષની સજા અને 1 લાખનો દંડ લગ્નગાળામાં બાળલગ્નો વધી જતા હોય છે. આ લગ્નો અટકાવવા સરકાર સફાળી જાગી છે.18 વર્ષથી નીચેની કન્યા અને 21 વર્ષથી નીચેનો યુવક લગ્ન કરે તો તે અપરાધ છે. આ બાળલગ્ન કરાવનારના દોષિત માતા પિતા તથા અન્ય સંગા સંબઘીઓને 2 વર્ષની સજા અને એક લાખનો દંડ, બાળ લગ્ન કરાવનાર ગોરમહારાજ, મોલવી કે પાદરીને પણ સજા થઇ શકે છે. બાળ લગ્નમાં લાઇટ, રસોઇયા, બેન્ડ વિગેરેના માલિકોને પણ 2 વર્ષની સજા અને 1 લાખનો દંડની જોગવાઇ છે. તેમજ બાળ લગ્નમાં સામેલ તમામ વ્યક્તિઓ આ અપરાધમાં સામેલ ગણીને સજાને પાત્ર છે. 2 વર્ષમાં બાળલગ્ન અટકાવ્યાના આંકડાપંચમહાલ જિલ્લામાં બે વર્ષમાં ઘોંઘંબા તાલુકા 13, હાલોલ તાલુકા 2,મોરવા(હ) 5, ગોધરા તાલુકા 5, શહેરા તાલુકા 6, કાલોલ તાલુકામાં 2બાળલગ્ન સમાજ સુરક્ષા વિભાગે અટકાવીને માતા પિતા પાસે ફરીથી લગ્નનહિ કરાવીએ તેવુ લખાણ લખીને બાળલગ્ન એક અપરાધ છે. તેની સમજઆપવામાં આવી હતી.
ઓરી વેક્સિનેશન ડ્રાઇવ:ગોધરામાં ઓરીના વેક્સિનેશન ડ્રાઇવમાં 1289 બાળકોએ રસી મૂકાવી
ગોધરાના સાતપુલ, પટેલવાળા અને ખાડી ફળીયામાં ઓરીના 6 કેસ મળી આવ્યા હતા. ઓરીનો રોગ ચેપી હોવાથી આરોગ્ય વિભાગે સર્વેલન્સ હાથ ધરી 9 માસથી 5 વર્ષ સુધીના 6 હજારથી વધુ બાળકોના સર્વે કરવામાં આવ્યો છે. શહેરના 10000થી વધુ બાળકોને ગુરૂવારથી આગામી 3 દિવસ સુધી ઓરીના બુસ્ટર ડોઝ આપવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ગોધરા શહેરના 3 મુખ્ય વિસ્તારો એવા ખાડી ફળિયા પટેલવાડા અને સાતપુલ વિસ્તારમાં ઓરી સામે રક્ષણ આપતી મિસેલ્સ વેક્સિન મૂકાવવા માટેનું ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જયારે અગાઉ ઓરીની રસીના બે ડોઝ શાળાઓમાં મુકાતા હતા. ત્યારે રસીને લઇને ગેરસમજના લીધે કેટલાક બાળકોએ રસી મુકાવી ન હતી. ઓરીના કેસ ધરાવતા આ વિસ્તારમાં મોટાભાગે મુસ્લિમ પરિવાર રહેતા હોવાથી તેઓના બાળકોને ઓરીની રસી મુકાવે તેના માટે કલેકટરે મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને ધાર્મીક સંસ્થાઓ સાથે બેઠક કરીને વધુને વધુ બાળકો ઓરીની રસી મુકવા તેવી અપીલ કરી હતી. ગુરૂવારે ઓરીની રસી મુકાવવા શહેરના મુખ્ય 3 વિસ્તારોમાં 50થી વધુ રસીકરણ બુથ તે વિસ્તારની આંગણવાડી કેન્દ્રો ખાતે શરૂ કરવામાં આવ્યા છે. મુસ્લિમ સમાજની ધાર્મિક સંસ્થાએ બાળકો ઓરીની રસી મુકાવે તે માટે બે દિવસથી વિસ્તારમાં રીક્ષાઓ ફેરવી રહ્યા છે. ત્યારે ઓરીની રસીના 3 દીવસીય અભિયાનમાં 10 હજાર બાળકોને રસી મુકાવવાના ટાર્ગેટ સામે પ્રથમ દિવસે 1289 બાળકોએ રસી મુકાવી છે. જેમાં પટેલવાડા કેન્દ્ર પર 463, ખાડી સેન્ટર 473 અને સાતપુલ સેન્ટર પર 353 બાળકોએ ઓરીની રસી મુકાવી છે. જે ગત વર્ષ કરતા રસી મુકાવવાના આંકડા કરતા વધુ છે. રસીની કોઇ આડઅસર થતી નથીગોધરા શહેરમાં ઓરીના કેસ નોંધાયેલા છે. જેથી ગોધરા અર્બન વિસ્તારમાં ઓરીની રસીના અભિયાનનુ મેટા ડ્રાઇવ ચાલુ કરી છે. ખાડી, પટેલવાડા અને સાતપુલ વિસ્તારમાં વધુ બુથ ઉભા કર્યા છે. સમાજના અગ્રણીઓ ધાર્મિક સંસ્થા સાથે બેઠક કરીને વધુ બાળકો રસી મુકાવવા આવે તેવુ આયોજન કર્યું છે. રસી મુકાવવાથી નજીવો તાવ કે નજીવી દુખાવો થઇ શકે ત સિવાય કોઇ આડઅસર થતી નથી.જેથી તમામ 9 માસથી 5 વર્ષના બાળકોને વેકસીનેશન કરાવે તેવી અપીલ કરૂ છું: ડો. વિપુલ ગામીતે, મુખ્ય આરોગ્ય અધિકારી રિક્ષા ફેરવી લોકોને રસી મૂકાવવા અપીલગોધરા શહેરમાં ઓરીના કેસોમાં વધારો થતા મુસ્લિમ સમાજ અને શુરા કમિટી દ્વારા જનજાગૃતિ અભિયાન છેડવામાં આવ્યું છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી રિક્ષા પર લાઉડસ્પીકર લગાવીને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. બાળકોને ભવિષ્યમાં કોઈ મોટી બીમારીનો સામનો ન કરવો પડે તે માટે વાલીઓએ નજીકના આરોગ્ય કેન્દ્ર પર જઈ બાળકોની તપાસ કરાવી રસી મુકાવવી જોઈએ. રસીકરણ દ્વારા જ બાળકોને સુરક્ષિત કરી શકાય તે હેતુથી આ અભિયાન સતત ચલાવવામાં આવી રહ્યું છે : મુફ્તી ઈકબાલ હુરી, શુરા કમિટીના પ્રમુખ
લુણાવાડા શહેરમાં દિન-પ્રતિદિન વકરતી જતી ટ્રાફિક અને દબાણની સમસ્યાના કાયમી નિવારણ માટે જિલ્લા પ્રશાસન હરકતમાં આવ્યું છે. મહીસાગર કલેક્ટર અર્પિત સાગર અને જિલ્લા પોલીસવડા સફીન હસન સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો મહિલા પોલીસ ચોકીથી નીકળી, શામળાજી હાઈવે પર આવેલા નંદનઆર્કેડ ટર્નિંગ સુધી ગયો હતો. ત્યાંથી પરત ફરી લુણેશ્વર ચાર રસ્તા સુધી અંદાજે 2 કિલોમીટર જેટલું અંતર પગપાળા કાપી ટ્રાફિકની અડચણોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. જેમાં રસ્તા પર નડતરરૂપ ગેરકાયદે દબાણો અને દુકાનોની બહાર કાઢેલા ઓટલાઓ તાત્કાલિક દૂર કરવા પાલિકાને સૂચના આપી. અગાઉ દબાણ હટાવ્યા પછી ફરીથી થયેલા ઓટલાઓના બાંધકામ પર કડક કાર્યવાહી કરવા જણાવ્યું. માર્ગ પર લગાવેલા ગેરકાયદે અને જોખમી જાહેરાતના બોર્ડ હટાવવા તેમજ શહેરની જર્જરિત બિલ્ડિંગોનો સર્વે કરી રિપોર્ટ કરવા સૂચના અપાઈ. રસ્તા પરની ખુલ્લી ગટરોને અકસ્માત નિવારવા માટે તાત્કાલિક ઢાંકવાનું આયોજન કરવા જણાવાયું. લુણાવાડા એસ.ટી. બસ સ્ટેન્ડમાં બસોની અવરજવર વધુ સરળ બને અને મુસાફરોને પાર્કિંગની સમસ્યા ન નડે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.જિલ્લાના ટોચના અધિકારીઓની આ સીધી દરમિયાનગીરીથી લુણાવાડાના નાગરિકોમાં ટ્રાફિક સમસ્યા હળવી થવાની આશા જાગી છે. જો કે આ વિઝિટ બાદ સૂચનાની અમલવારી અંગે પાલિકા તંત્રમાં દોડધામ શરૂ થઈ છે.
લૂંટનો મામલો આવ્યો સામે:ભાણપુરમાં લૂંટારાઓ દ્વારા પરિવારને 1 કલાક બંધક બનાવી લૂંટ
લુણાવાડા તાલુકાના ભાણપુર ગામે વિનુભાઈ પટેલના મકાનમાં મધરાતે 4 જેટલા લૂંટારુઓ ઘૂસી પરિવારજનોને બંધક બનાવી લૂંટ આચરી ફરાર થઇ ગયા છે. બનાવની જાણ થતા પોલીસે તપાસ ટીમો બનાવીને લુંટારાઓની શોધખોળ શરૂ કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ લુણાવાડા તાલુકાના ભાણપુર ગામે વિનુભાઈ પટેલ સહિત પરિવાર જમી પરવારીને મકાનમાં સૂઈ ગયા હતા. રાત્રે અંદાજે 12:30 વાગ્યે લૂંટારુઓએ ઘરના દરવાજાનો તાળા તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. દ રવાજાનો અવાજ સાંભળતા ઘરના સભ્યો જાગી જતા લૂંટારુઓએ અંદર ઘૂસી 3 વ્યક્તિને બંધક બનાવ્યા હતા. મકાન માલિક વિનુભાઈ પટેલને ઉંધા લટકાવી અન્ય મકાનો ખોલવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. વિનુભાઈ પટેલે કોઈ માહિતી ન આપતા લૂંટારુઓએ પગના ભાગે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી. લૂંટારુઓએ ઘરમાં હાજર 3 લોકોને બંધક બનાવી તેમના મોબાઇલ પણ કબજે કર્યા હતા. ઘટનામાં ઘરમાંથી અંદાજે દોઢ લાખની રોકડ અને 4 લાખના સોના- ચાંદીના દાગીના લૂંટી આરોપીઓ ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં મહીસાગર જિલ્લા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. લૂંટારાઓની ધરપકડ માટે જિલ્લા તેમજ જિલ્લાની બહાર વિવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે. ટેકનિકલ સોર્સ સાથે હ્યુમન ઇન્ટેલિજન્સનો પણ સહારો લેવાઈ રહ્યો છે. ભાણપુર ગામે બનેલી આ ઘટનાને લઈ સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ છવાયો છે. પોલીસ હાઈવે સહિતના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી છે.
સમસ્યા:શામળાસર-ગોપી તળાવથી હમુસર વચ્ચે 5 કિમીનો માર્ગ અતિ બિસ્માર
દ્વારકા તાલુકાના શામળાસર (ગોપી તળાવ) અને હમુસર વચ્ચે 5k.m.નો રોડ ખડખડધજ હાલતમાં ફેરવાયો છે.જેના કારણે દરરોજ આવા ગમન કરતા હજારો યાત્રિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.અનેક વખત નાના મોટા અકસ્માતોનો અવાજ સરકારી તંત્ર સુધી પહોંચ્યો જ નથી... સુપ્રસિધ્ધ્ યાત્રાધામ દ્વારકા ખાતે આવતા મોટા ભાગના યાત્રાળુઓ યાત્રાધામ બેટ જવા માટે રોડનો ઉપયોગ કરે છે.જેમાં ચરકલાથી આરંભડા સુધીનો 31 કિલોમીટરનો નવો રોડ બન્યો તેમાં ગોપીતળાવ પછીનો પાંચ કિ.મિ.નો રોડ જુનો જ રીપેર થયો.જે હજુ નવો નથી બન્યો. હાલ આ ખખડધજ રોડ અંગે સ્થાનિક તંત્ર સાથે વાત કરતા એવો પ્રત્યુત્તર મળ્યો કે, આ રોડ પર વરસાદી પાણી ભરાતું હોવાથી હવે સીસી રોડ માટે સરકાર ને દરખાસ્ત કરેલ છે. રોડ બેક વર્ષમાં સીસી રોડ બની જશે.ઉપરાંત હાલ યાત્રિકો અને પ્રજાની મુશ્કેલીના નિવારણ માટે એક સપ્તાહ માં રોડ નું સમારકામ કરશું એમ પણ જણાવાયુ હતુ.
ધરપકડ:ઊનામાં સગીરાના અપહરણનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો
ઊનામાં ગત 24 જાન્યુઆરીના સવારે 7 વાગ્યા આસપાસ આ વિસ્તારમાં રહેતી સગીરા ઘરેથી દૂધ લેવા નીકળી હતી. ત્યારે અસ્લમ મુનીર મહેબૂબ બેલીમ નામના શખ્સે સગીરાના અપહરણનો પ્રયાસ કર્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટિવીમાં કેદ થયેલ હતી. બાદમાં ઊના પોલીસે સીસીટિવીનાં આધારે આરોપીની ઓળખ કરી સગીરાના પિતાએ ઊના પોલીસમાં અપહરણના પ્રયાસ તેમજ પોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ નોંધવી હતી. અને આરોપી અસ્લમ મુનીર મહેબૂબ બેલીમ નાસી છૂટ્યો હોય પોલીસ દ્વારા તેમની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે ગીર સોમનાથ ક્રાઈમ બ્રાન્ચે આરોપી અસ્લમ મુનીર મહેબૂબ બેલીમ વેરાવળમાં હોવાની બાતમી મળતા પીઆઈ રાજપૂતના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ સિંધવ, જેબલિયા સહિતના સ્ટાફે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડી ઊના પોલીસને સોંપતા સ્થાનિક પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરેલ છે. આમ 5 દિવસ બાદ આરોપી ઝડપાતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.
સુવિધાથી વંચિત:ઊના પંથકનાં સનખડા ગામે પંચાયતની બેદરકારી, અમુક વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ બંધ
ઊના તાલુકાનું વસતીની દૃષ્ટિએ તેમજ આજુબાજુના ગામો પાંચથી વધુ ગામો સાથે જોડાયેલ સનખડા ગામ કે જે લાલ મરચા નું હબ ગણાય છે. આ નાના ગામનું મોટુ રાજકારણ ગ્રામજનોને મહત્વની સુવિધાથી વંચિત રાખતું હોય તેમ હાલ ગામના અમુક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટની સુવિધા તો છે. પરંતુ આ સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં જોવા મળે છે. નાના ગ્રામ્ય વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટએ પાયાની સુવિધા કહેવાઈ છે. અને સનખડા ગામના વાડી વિસ્તારમાં વન્ય પ્રાણીઓનો વસવાટ પણ જોવા મળતો હોય અને ઘણી વખત સિંહ ગામમાં આવી જતો હોય છે. ત્યારે રાત્રીના અંધકારમાં ગ્રામજનોને બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે, ત્યારે વર્તમાન સરપંચ દ્વારા લોકોને પડતી હાલાકીનું નિરાકરણ લાવે તેવી માંગણી પણ ગ્રામજનો માંથી ઊઠવા પામેલ છે. ગામના જાગૃત નાગરિક દ્વારા ગ્રામજનો વતી રજૂઆત કરવામાં લાજ કાઢતા હોવાનું ચિત્ર પણ ગ્રામજનો નિહાળી રહ્યા છે કે હાલ સ્ટ્રીટ લાઈટ બંધ હોવા છતાં અમુક આગેવાનો જે નાની નાની બાબતે રજૂઆત કરવા પોહચી જતા એ આગેવાનો આજે સ્ટ્રીટ લાઈટ બંધ હોવા છતાં કેમ રજૂઆત નથી કરતા પરિસ્થિતિ એ છે કે ગામના અમુક વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી ગ્રામજનો હાલાકી ભોગવી છે. તાકીદે જે વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ છે તે ત્વરિત કાર્યરત થાય અને લોકોને રાત્રીના રોડ પરના અંધકારથી મુક્તિ મળે તેવી માંગણી ઊઠવા પામી છે.
ઉચાયતનો ભાંડો ફૂટ્યો:ઓનલાઇન ગેમીંગની લતે ચઢેલા કેશિયરે કુલ 51 ખાતામાંથી રૂ.2.14 કરોડ ઉઠાવ્યા
બેંગ્લોરમાં નોંધાયેલી ઓનલાઇન ગેમીંગમાં નાણાંની હેરફેરની તપાસમાં ગઢડાના જલાલપરમાં આવેલી બેંકના કેશિયર અને તેની પત્નીએ 51 ખાતેદારો સાથે કરેલી રૂ.2.14 કરોડની ઉચાયતનો ભાંડો ફૂટ્યો છે. 3 વર્ષથી ફરજ બજાવતો કર્મી છેલ્લા 6 મહિનાથી પ્રિન્ટ બગડ્યાનું બહાનું કાઢી વાઉચર બન્યા વિના પોતાના ખાતમાં રકમ જમા કરી દેતો હતો. બેંકના લોગીન પાસવર્ડનો ઉપયોગ કરી ખાતેદારોને જતાં મેસેજ પણ બંધ કરી દીધા હતા. ગઢડા (સ્વામીના) તાલુકાના જલાલપર ગામે આવેલી ભાવનગર ડિસ્ટ્રિક્ટ સહકારી બેંકની શાખામાં કેશિયર તરીકે ફરજ બજાવતા આનંદકુમાર પોપટભાઈ સગરે બેંકના કામ માટે મળેલા પોતાનાં આઈ.ડી. અને પાસવર્ડનો દુરુપયોગ કરી 51 ખાતેદારોના ખાતામાંથી રૂપિયા 2.14 કરોડ રકમ પોતાની પત્ની જાગૃતિબેન સહિત જુદા જુદા ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધી હતી. આનંદકુમારે રકમ પોતાના ઢસા જંકશન બ્રાન્ચના ખાતામાં, જલાલપુર શાખાના કેશ ક્રેડિટ ખાતામાં અને પત્ની જાગૃતિબેનના ખાતામાં ટ્રાન્સફર કરી. પતિ ભાગી ગયો, પત્નીએ આત્મહત્યાની ધમકી આપી જાગૃતિબેનને પતિના નામે ઉચાપતની જાણ થતાં તેઓ પતિ સાથેના જોઇન્ટ લોકરમાંથી પિતાએ આપેલી દાગીનાની પોટલી લેવા બેંકે ગઈ હતી પરંતુ હેડ ઓફિસની સૂચના મુજબ લોકર હોલ્ડ પર મુકાયું. લોકર ન ખોલવા દે તો આત્મહત્યાની ધમકી આપી. બેંક અધિકારીઓ અને ડાયરેક્ટર પર આક્ષેપ કર્યા હતા. તપાસમાં જણાયું કે જાગૃતિબેન પોતાના ખાતામાં થયેલી લેવડદેવડથી વાકેફ હતી. પિતાની પોટલી તરીકે દાગીના બતાવી પોતે અજાણ હોવાનું નાટક કર્યું. વાઉચર ન પાડી ખાતામાં રકમ જમા કરતો હતોસામાન્ય રીતે બેંકમાં નાણાંકીય લેવડ-દેવડના વાઉચર બનતાં હોય છે. કેશિયર આનંદકુમાર ઓનલાઇન લેવડ-દેવડ કરતો હોવાથી સૌથી પહેલાં ખાતેદારોના ડેબિટ મેસેજ બંધ કરી દીધા હતા. કમ્પ્યૂટર એન્ટ્રીમાં ચેંડા કરી ખોટી એન્ટ્રીઓ કરી બેન્કના ખાતેદારોનાં નાણાં એકબીજાનાં ખાતાઓમાથી ખોટી રીતે ઉપાડ કરી પોતાનાં બચત ખાતા અને સી.સી.ખાતામાં જમા કરી હતી.
આયોજન:બોટાદ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ, વાસ્મો બોટાદની 27મી બેઠક યોજાઈ
બોટાદ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ, વાસ્મોની બેઠક નં.27 નાયબ કલેક્ટર મેહુલકુમાર પાંડોરની અધ્યક્ષતા હેઠળ યોજવામાં આવી હતી. બેઠક દરમિયાન જિલ્લામાં પાણી પુરવઠા અને સ્વચ્છતા સંબંધિત વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા તથા સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકની શરૂઆતમાં 18 ડિસેમ્બર 25ના મળેલ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ, બોટાદની 26મી બેઠકની કાર્યવાહી નોંધનું વંચાણ કરીને બહાલી આપવામાં આવી હતી. ત્યારબાદ ગ્રામ્ય કક્ષાની આંતરિક પાણી પુરવઠા યોજનાઓની મરામત તથા નિભાવણીની કામગીરી પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળી (PACS) તથા સેલ્ફ હેલ્પ ગ્રુપ (SHG) મારફત હાથ ધરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી “ઓગમેન્ટેશન ઇન ટેપ કનેક્ટિવિટી ઇન રૂરલ એરીયા (જનરલ) કાર્યક્રમ” અંતર્ગત પ્રગતિ હેઠળની યોજનાકીય કામગીરીની સમીક્ષા કરવામાં આવી અને કામોની ગતિ ઝડપી કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. બેઠકમાં ગ્રામ્ય કક્ષાના પંપ ઓપરેટરોને હેડ વર્ક્સ ખાતે તાલીમ આપવાની બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત 0 થી 30 ટકા પાણી વેરા વસુલાત ધરાવતાં ગામોની સમીક્ષા કરી વેરા વસુલાત વધારવા માટે પ્રોત્સાહક પગલાં અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
શિક્ષણ:જેઈઈ મેઈન સેશન-1માં કેમેસ્ટ્રી અને મેથ્સના પ્રશ્નો લાંબા, વિદ્યાર્થીઓને સમય ઓછો પડ્યો
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)ના ઉપક્રમે દેશની અગ્રણી ઈજનેરી કોલેજોમાં પ્રવેશ માટેની જેઈઈ મેઈન સેશન-1 પરીક્ષા 21મીથી 24મી તેમજ 28મી અને 29મી જાન્યુઆરી દરમ્યાન લેવાઈ હતી. શહેરના બોપલ-ઓઢવ-વસ્ત્રાલ સહિતના કુલ ત્રણ એક્ઝામ સેન્ટર્સમાં સવારે 9થી 12 બપોરે 3થી 6 દરમ્યાન બે શિફ્ટમાં એક્ઝામ થઈ હતી. ઓવરઓલ પ્રશ્નપત્ર અગાઉના વર્ષોની તુલાએ ટફ પૂછાયા હતા. કેમેસ્ટ્રી- મેથ્સના પ્રશ્નો લાંબા જવાબો લખવામાં વિદ્યાર્થીઓને સમય ઓછો પડયો હતો.કેટલાક સેશનના પ્રશ્નપત્રો મોડરેટ પૂછાયા હતા, જ્યારે કેટલાક સેશનના પ્રશ્નપત્રો ટફ કક્ષાના પૂછાયા હતા.કુલ છ દિવસોની પરીક્ષામાં વિદ્યાર્થીઓની હાજરી 97 ટકા આસપાસ જોવા મળી હતી. જેઈઈ મેઈન સેશન-1 એક્ઝામનું પરિણામ 12મી ફેબ્રુઆરીએ જાહેર થવાની સંભાવના છે. જ્યારે જેઈઈ મેઈન સેશન-2ની પરીક્ષા બીજીથી નવમી એપ્રિલે યોજાશે. બીજી તરફ જેઈઈ મેઈન સેશન-1 બી આર્કનું પ્રશ્નપત્ર મોડરેટ પૂછાયું હતું. ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ (આઈઆઈએસસી- બેંગલુરુમાં બીટેકના કોપ્સમાં અગાઉ વિવિધ પ્રકારે અરજીના આધારે પ્રવેશ અપાતો હતો, જો કે હવે jossaa (જોઈન્ટ સીટ એલોકેશન ઓથોરિટી)ના માધ્યમથી આઈઆઈએસસીમાં પ્રવેશ અપાશે. તેથી આ અંગેની સત્તાવાર વેબસાઈટનો સંપર્ક કરવાનો રહેશે. અગાઉના વર્ષોની તુલનાએ પ્રશ્નપત્રો અઘરાં પૂછાયાં‘જેઈઈ મેઈન સેશન-1ની ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ એમ કુલ ત્રણ વિષયમાં 75 પ્રશ્નો હતા. 21મી જાન્યુઆરીની સવારે યોજાયેલી પરીક્ષાનુ પ્રશ્નપત્ર ઈઝીથી મોડરેટ કક્ષાનું પૂછાયું હતું. મોટાભાગના પ્રશ્નો ફોરમ્યુલા આધારિત મોર્ડન ફિઝિક્સ- ઈલેકટ્રોસ્ટેટેસ્ટિક્સ હતા. કેમેસ્ટ્રીને લગતા પ્રશ્નો થોડાક કડક હતા. ઈન ઓર્ગેનિક કેમેસ્ટ્રીને લગતા પ્રશ્નો થોડાક સરળ કે સીધા હતા. જો કે ઓર્ગેનિક- ફિઝિકલ કેમેસ્ટ્રીને લગતા પ્રશ્નો ગણતરી આધારિત હતા. જોકે ગણિતના પ્રશ્નપત્રો લખવામાં વિદ્યાર્થીઓએ ઘણો સમય લીધો હતો. જો કે બપોરના સમયે લેવાયેલ પરીક્ષાનુ પ્રશ્નપત્ર થોડુક કઠીન હતુ. મોર્ડન ફિઝિક્સ અને થર્મો ડાયનેમિક્સ પર વિશેષ ધ્યાન અપાયુ હતું. કેમેસ્ટ્રીના પ્રશ્નો ઈઝીથી મધ્યમ કક્ષાના હતા. - ડો સંજય વિજય જેઈઈ મેઈન બીટેક કોચિંગ એકસપર્ટ પરીક્ષામાં 15,000 વિદ્યાર્થી પૈકી 14,500 હાજર રહ્યાં‘જેઈઈ (મેઈન)-સેશન-1 એક્ઝામ (બીઈ-બીટેક તેમજ બી આર્ક, બી પ્લાનિંગના કોર્સ) માટે 21મીથી 24મી તેમજ 28 અને 29મી જાન્યુઆરીએ અમદાવાદના બોપલ, ઓઢવ,વસ્ત્રાલ સહિતના સેન્ટર્સમાં લેવામાં આવી હતી. અમદાવાદ શહેરના આ એક્ઝામ સેન્ટર્સ માટે નોંધાયેલા આશરે 15000થી વધુ વિદ્યાર્થીઓમાંથી 14,500થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેતા કુલ 97 ટકા આસપાસ હાજરી જોવા મળી છે.’ - ડો સુનિતા સિંઘ, સિટી કો ઓર્ડિનેટર, જેઈઈ મેઈન
આયોજન:સ્કૂલબોર્ડનાં બાળકોને પણ હવે AIની તાલીમ અપાશે
મ્યુનિ. સંચાલીત સ્કૂલબોર્ડમાં ભાજપ દ્વારા 5 કરોડનું સુધારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં સ્કૂલબોર્ડના બાળકોને એઆઇના જ્ઞાનથી પણ સજ્જ કરવા માટે રૂ. 1 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સ્કૂલબોર્ડના ચેરમેન ડો. સુજય મહેતાએ જણાવ્યું હતુંકે, ગયા વર્ષના બજેટ કરતાં ચાલુ વર્ષે બજેટમાં રૂ. 50 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. સ્કૂલબોર્ડ દ્વારા સુચવાયેલા 5 કરોડના સુધારા બાદ આ બજેટ રૂ. 1205 કરોડ પર પહોંચશે. ભાજપ દ્વારા રજૂ કરાયેલા સુધારા બજેટમાં 10 લાખની રકમ વિદ્યાર્થીઓના કૌશલ્ય વર્ધન માટે ફાળવણી કરાઇ છે. જેમાં શિક્ષણની સાથે કન્યાઓને રોજગારીની તકો માટે ભરત ગુંથણ, હાથ વણાટ સહિતના વિવિધ કામોનું તથા ગૃહ સજાવટની વસ્તુઓ બનાવવાની તાલીમ અપાશે. સમર ફેસ્ટીવલ માટે 50 લાખનો ખર્ચ થશે જેમાં બાળકો ઉનાળું વેકેશનમાં શહેરના વિવિધ ગાર્ડનમાં સ્કૂલબોર્ડના બાળકો દ્વારા વિજ્ઞાનમેળા, સમુહ પુસ્તક વાંચન, ચિત્ર હરિફાઇ, માટી કામ, રમતગમતો સહિતનું આયોજન કરવામાં આવશે. મ્યુનિ. શાળાઓમાં એઆઇ લેબોરેટરી તૈયાર થશે, જેમાં શૈક્ષણિક સોફ્ટવેરને આધારે બાળકોનું મુલ્યાંકન થશે. બાળકોને ટેકનોલોજી આધારીત ડીજીટલ શિક્ષણ અપાશે. તે સિવાય અમદાવવાદ મેનેજમેન્ટ એસો. જેવી સંસ્થાઓ સાથે એમઓયુ કરીને બાળકોને ઉચ્ચ અભ્યાસમાં માર્ગદર્શન આપવામાં આવશે. સ્કુલબોર્ડના શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે. 60 લાખની રકમ શાળામાં આઇઆઇટી ગાંધીનગર દ્વારા ગણિત- વિજ્ઞાન પ્રયોગશાળામાં 25 હજાર વિદ્યાર્થીને મુલાકાત કરાવી કોશલ્ય વર્ધન પાછળ વપરાશે.
`મેરા ટિકિટ મેરી શાન’ અભિયાન:ટિકિટ સાથે મુસાફરી માટે લોકોને સમજાવાશે
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોમાં ટિકિટ લઈને મુસાફરી કરવાની આદત વિકસે તે હેતુથી ‘મેરા ટિકિટ મેરી શાન, વિકસિત ભારત કે લિયે મેરા યોગદાન’ સાથેનું અભિયાન અમદાવાદ સહિત રાજ્યના મુખ્ય રેલવે સ્ટેશનો પર 10 દિવસ સુધી ચલાવવામાં આવશે. રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે, ટિકિટ લઈને મુસાફરી કરવાથી રેલવેની આવકમાં વધારો થાય છે, જેના દ્વારા મુસાફરોને વધુ સુવિધાઓ પૂરી પાડવી, સ્ટેશનોનો વિકાસ કરવો અને રેલવેના આધુનિકીકરણને વેગ આપવો શક્ય બને છે. વિવિધ માધ્યમો દ્વારા મુસાફરોને જાગૃત કરવા, સ્ટેશનો પર મુસાફરોને સીધા સંવાદ દ્વારા જોડવામાં આવશે.
12 બાળશ્રમિકનું રેસ્ક્યૂ:સેટેલાઈટ- ઓઢવમાં કલાકો સુધી કામ કરાવી બાળકોનું શોષણ
સેટેલાઇટ અને ઓઢવમાં પોલીસે અલગ-અલગ સ્થળે દરોડા પાડી 12 જેટલાં બાળશ્રમિકોને મુક્ત કરાવ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ ટીમે ઓઢવ જીઆઇડીસીમાં દરોડો પાડી શક્તિ સ્ટીલ કંપનીમાં કલાકો સુધી મજૂરી કરાવતા 9 બાળકોને મુક્ત કરાવ્યા હતા. જ્યારે આનંદનગર પોલીસે રામદેવનગર રોડ, સેટેલાઇટમાં બી ટુ કાર વોશિંગ દુકાનમાં દરોડો પાડી બે બાળ મજૂરને છોડાવ્યા હતા. આ અંગે પોલીસે ન્યૂ જલકોન ફ્લેટમાં રહેતા સંચાલક સુનીલ મસ્કે સામે ગુનો નોંધ્યો છે. રેસ્ક્યૂ કરાયેલાં બાળકો 13-14ની વયનાં છે. રામદેવનગરમાં જય અંબે ટાયર સર્વિસમાંથી પણ એક બાળમજૂરને મુક્ત કરાવી દુકાન માલિક ગોવિંદપ્રસાદ કુશવાહ સામે ગુનો નોંધી તપાસ આદરી છે.
વિશ્વભરમાં વધી રહેલા ભૂ-રાજકીય તણાવ અને ટેરિફના સતત જોખમો વચ્ચે ભારત સરકાર સેમિકન્ડક્ટર ઉદ્યોગને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આવનારા યુનિયન બજેટ 2025-26માં દેશનો ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગ મોટી અપેક્ષાઓ રાખી રહ્યો છે. સેમિકન્ડક્ટર ઉદ્યોગ ઝડપથી વિસ્તરી રહ્યો છે અને સરકારનો ઉદ્દેશ ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનમાં મહત્ત્વપૂર્ણ સ્થાન આપવાનો છે. ગુજરાતના ધોલેરામાં ટાટા સેમિકન્ડક્ટર દ્વારા દેશની પહેલી કોમર્શિયલ FAB સુવિધા ઊભી કરવામાં આવી રહી છે, જ્યારે સાંણદમાં માઇક્રોન ટેક્નોલોજી વિશાળ ATMP યુનિટ સ્થાપી રહી છે. આ બંને પ્રોજેક્ટ્સ ભારત માટે સેમિકન્ડક્ટર ક્ષેત્રે ઐતિહાસિક માનવામાં આવી રહ્યા છે. ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સેમિકન્ડક્ટર એસોસિએશને યુનિયન બજેટ માટે સરકાર સમક્ષ મહત્ત્વની ભલામણો રજૂ કરી છે. ઉદ્યોગ સંસ્થાનું કહેવું છે કે ઇન્ડિયન સેમિકન્ડક્ટર મિશન 2.0 અને ડિઝાઇન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ ચાલુ રાખવી ખૂબ જરૂરી છે. સાથે જ, પહેલેથી મંજૂર થયેલા પ્રોજેક્ટ્સ માટે વધુ બજેટ ફાળવણી કરવાની પણ માંગ કરાઈ છે. યુનિયન બજેટમાં ઍસોસિયેશનની માગણીરૂ.76,000 કરોડના ઇન્ડિયન સેમિકન્ડક્ટર મિશનનો મુખ્ય ઉદ્દેશ દેશમાં વધતી સેમિકન્ડક્ટરની માંગને દેશમાંથી જ પૂરી કરવાનો છે. હાલમાં ઇલેક્ટ્રોનિક્સ, ઑટોમોબાઇલ અને 5G ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવાં ક્ષેત્રોમાંથી સેમિકન્ડક્ટરની માંગ સતત વધી રહી છે. ઉદ્યોગનું માનવું છે કે 15 ટકા કન્સેશનલ મેન્યુફેક્ચરિંગ ટેક્સ રીજીમમાં સેમિકન્ડક્ટર FAB, ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનેન્ટ્સ અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સનો સમાવેશ કરવો જોઈએ. સરકારને માત્ર મોટા પ્રમાણમાં ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવાની જગ્યાએ દેશમાં મૂલ્યવર્ધન વધે તેવા પગલાં લેવા જોઈએ.
આયોજન:જૈન સમાજ અને ચાર સંસ્થા પહેલી વાર સાથે મળીને રઝળતી ગાયોનાં પેટ ઠારશે
શહેરમાં અનેક સંસ્થા તથા મંદિરો ભૂખ્યાંને ભોજનનું વિતરણ કરે છે, પરંતુ પહેલીવાર જૈન સમાજ અને પશ્ચિમ વિસ્તારની 4 સંસ્થા સંયુક્તપણે શહેરમાં રખડતી ગાયોને નિત્યક્રમ ભોજન પહોંચાડવા માટે 5 હેમનાદ મહેક જીવદયા રથ તૈયાર કરશે. શહેરના મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ, શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ દ્વારા એક જીવદયા રથનો 1 ફેબ્રુઆરીથી આરંભ કરવામાં આવશે. આ રથમાં 6 ખાના હશે, જેમાં રોટલી, શાકભાજીના છોડાં, ખાંડ-સાકર-ગોળ, ચકલા માટે ચણ, લોટ અને છઠ્ઠા ખાનામાં અન્ય વસ્તુ રખાશે. રથની ઉપર ધીમા અવાજે ગૌમાતાનું ગીત પણ વગાડવામાં આવશે. આ રથ સવારે 11 વાગ્યાથી ચાર વાગ્યા સુધી 50-60 સોસાયટી ફરશે, એમાં દરેક જીવ માટે વ્યવસ્થા, કીડી-મકોડાનું કીડિયારું પૂરશે અને માછલીઓને લોટની ગોળી અને કૂતરાંને રોટલી ખવડાવશે.ગાયોને રોટલી ખવડાવશે. સંસ્થાના વડા વીરૂભાઈ અલગોતર અનુસાર આ ચાર સંસ્થા દ્વારા હાલ સુધીમાં શહેરની 200થી વધુ સોસાયટીમાં પહેલી રોટલી ગાયની એ નામથી રોટી ગૌપાત્ર મુકાશે. દરરોજની 25000 ઉપરાંત રોટલી ગૌમુખમાં જાય છે. આ કાર્ય માટે 4 સંસ્થા સિવાય જૈન સમાજના મ. સા દ્વારા 1 રથનું દાન કરાયું છે. આ બધા રથ શહેરમાં તૈયાર કરાશે. એક રથને તૈયાર કરવા રૂ.5 લાખનો ખર્ચ કર્યો છે, જેનો માસિક ખર્ચ રૂ.21000 થવાનો છે. હાલ નિત્યક્રમ 25 હજાર રોટલી ગાયના મોઢેમંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ અને જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન ઝોન 3ના સંયુક્ત ઉપક્રમે મોટેરાની 35 સોસાયટીમા રોટી ગૌપાત્ર અર્પણ કરાયાં હતાં. અત્યાર સુધી વિવિધ વિસ્તારોની જુદી જુદી સોસાયટીઓમાં અત્યાર સુધીમાં મળીને કુલ 200 જેવા રોટી ગૌપાત્ર અર્પણ કરવામાં આવ્યા છે. અત્યારે દરરોજ 25 હજાર જેવી રોટલીઓ મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે દરરોજ ગાયોના મોઢે જાય છે. આ 200 ગૌપત્રનો લાભ જૈન પ્રેમ ભક્તિ ગ્રુપ પરિવાર વાલકેશ્વર મુંબઈ લીધો છે. આ ગ્રુપ દ્વારા કહેવામાં આવેલું છે કે હજી પણ જેટલા પણ ગૌ પાત્ર મૂકવાના થશે તેનો લાભ અમને જ આપજો. સોસાયટીમાં આ ગૌપાત્ર મુકવાનું હોય ઈચ્છા હોય તેમણે નીચેના કોન્ટેક્ટ ઉપર ખાસ કોન્ટેક્ટ કરી ગૌપાત્ર મેળવી પુણ્યનું કામ કરી શકો છો.
ગુજરાતમાં છેલ્લાં 5 વર્ષમાં નેશનલ હાઇ-વેના વિકાસ અને મેન્ટેનન્સ પાછળ 47 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. છતાં આ દરમિયાન રાજ્યમાં 11 હજાર લોકોએ માત્ર નેશનલ હાઇ વે પર અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. કેન્દ્ર સરકારે સંસદમાં આપેલી માહિતી મુજબ, 2021થી 2025માં રાજ્યમાં રૂ. 21 હજાર કરોડથી વધુ ટોલ સ્વરૂપે લોકો પાસેથી વસૂલ કરાયા છે. આ દરમિયાન દેશમાં હાઇ-વે પર 7.16 લાખ અકસ્માત સર્જાયા હતા અને તેમાં 3 લાખએ જીવ ગુમાવ્યો હતો. સૌથી વધુ મોત થવા મામલે ગુજરાત ટોપ-10માં સામેલ છે.
હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો:પૈસા વેડફતાં માતાનો ઠપકો 23 વર્ષીય પુત્રએ ફાંસો ખાધો
માતા-પિતા દ્વારા સંતાનના હિત માટે આપવામાં આવેલી શિખામણ ક્યારેક જીવલેણ સાબિત થતી હોય છે. વ્યારાના ખાનપુર ગામે એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે, જેમાં માતાએ પૈસાનો ખોટો ઉપયોગ ન કરવા સમજાવતા મનદુઃખ અનુભવી 23 વર્ષીય યુવાને ખાખરાના ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. ખાનપુર ગામના મંદિર ફળિયામાં રહેતા સતિષભાઈ ચૌધરીનો પુત્ર સાગર (23) ગત 28 જાન્યુઆરીએ ઘરે હતો. સાંજના સમયે માતા જમાનાબેને સાગરને કમાયેલા પૈસાનો વ્યય ન કરવા અને સમજદારીથી વાપરવા ઠપકો આપ્યો હતો. માતાની આ વાત સાગરને ઓછું આવતા તે રીસાઈને ઘરની બહાર નીકળી ગયો હતો. તબેલામાં દૂધ કાઢવા જવાનું કહીને નીકળેલો સાગર મોડી રાત સુધી પરત ન ફરતા પરિવારે શોધખોળ આદરી હતી. ગુરુવારે સવારે 6:30 કલાકે છીરમા ગામના કોટવાડી ફળિયામાં એક ખેતર પાસે સાગરની લાશ ખાખરાના ઝાડ પર લટકતી હાલતમાં મળી આવી હતી. વ્યારા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો.
હાર્બર મરીન પોલીસ સ્ટેશન દ્વારા ફિશરમેન વોચગ્રુપના સભ્યો તથા સ્થાનિક માછીમારો માટે અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દરીયાકાંઠા વિસ્તારમાં માછીમારી કરતી વખતે સુરક્ષા જાળવવી તેમજ ગુજરાત સરકારના ગુજરાત મત્સ્યઉદ્યોગ અધિનિયમ 2003 અને તેમાં વર્ષ 2024માં થયેલા સુધારા અંગે માછીમારોને માહિતગાર કરવાનો આ કાર્યક્રમ સુભાષનગર હનુમાનચોક સ્થિત પ્રાર્થના હોલ ખાતે યોજાયો હતો, જેમાં હાર્બર મરીન પોલીસ, કોસ્ટગાર્ડના અધિકારી-કર્મચારીઓ, સ્થાનિક બોટ એસોસિએશનના આગેવાનો, ફિશરમેન વોચગ્રુપના સભ્યો તેમજ આશરે 90 જેટલા માછીમાર હાજર રહ્યા હતા. અવેરનેસ દરમિયાન માછીમારી કરતી વખતે ધ્યાનમાં રાખવાની મહત્વપૂર્ણ બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં 18 વર્ષથી નાની વયના બાળકોને માછીમારીમાં ન લઈ જવા, ફિશરીઝ વિભાગ દ્વારા આપવામાં આવતા ટોકનમાં માછીમારો અને ટંડેલની સાચી માહિતી આપવી, ટોકન મુજબના જ માછીમારો સંબંધિત બોટમાં માછીમારી કરવા તથા ટોકન અને આધારકાર્ડ સાથે રાખવા સમજ આપવામાં આવી હતી.તેમજ 2024ના સુધારા મુજબ લાઇન તથા લાઇટ ફિશિંગ ન કરવા, નિયમ ભંગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી થવાની જાણ કરાઈ હતી. આ ઉપરાંત IMBL ન ઓળંગવા, દરિયામાં લાઇફ જેકેટ તથા લાઇફ બોય સાથે રાખવા, સોશિયલ મીડિયા દ્વારા થતી લાલચથી દૂર રહેવા અને શંકાસ્પદ બોટ કે વ્યક્તિ દેખાય તો તાત્કાલિક પોલીસ અથવા ઇમરજન્સી નંબર 1093 તથા 100 પર જાણ કરવા જણાવાયું હતું.
ગાંધીનગરના સુઘડ ખાતે રહેતા અને કન્સ્ટ્રકશન વ્યવસાય સાથે સંકળાયેલા 25 વર્ષીય ઋષભ પટેલે લગ્ન જીવનના 13 દિવસમાં જ નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. મૃતકની બિનવારસી મળી આવેલી કારની ડેકીમાં પ્લાસ્ટિકની થેલીમાંથી બે પાનાની સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેણે પૂર્વ કોર્પોરેટરના પુત્ર સહિત ચાર શખ્સોના માનસિક ત્રાસથી કંટાળીને આ પગલું ભરી રહ્યો હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હોવાથી તેના પિતા પ્રવિણભાઈ પટેલે આ ચારેય શખ્સો વિરુદ્ધ માનસિક ત્રાસ અને આત્મહત્યા માટે મજબૂર કરવા અંગેની ફરિયાદ ઇન્ફોસિટી પોલીસ મથકમાં નોંધાવી છે. ઋષભે લખેલી સુસાઈડ નોટમાં પોતાની પત્નીને સંબોધીને લખ્યું છે કે, હેલી બેટા (પત્ની) ખુશ રહેજે મને તારાજ માણસોએ મરવા માટે મજબુર કર્યો છે એમને સજા અપાવજે. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ચારેય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. 25 તારીખે ઘરેથી નીકળ્યા બાદ 28મીએ નર્મદા કેનાલમાંથી લાશ મળી હતીગાંધીનગરના સુઘડ ખાતે એપોલો હોસ્પિટલ નજીક આવેલા શિખર બંગલોઝમાં રહેતા ઋષભ પ્રવીણભાઈ પટેલ (ઉં.વ. 25) ગત 25મી તારીખે પોતાની સાઈટ પર જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. જે બાદ તે પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રાયપુર ગામની સીમમાં આવેલ બહુચર પાન પાર્લર પાસે ઋષભની ગાડી બિનવારસી હાલતમાં મળી આવી હતી. જેની બિનવારસી કારમાંથી દાગીના, મોબાઇલ, રોકડ રકમ તેમજ એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી.આ અંગે તેના ભાઈ આર્યન પ્રવીણભાઈ પટેલે 25મી તારીખે જ ડભોડા પોલીસ મથકમાં ગુમ થયા અંગેની જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ગઈકાલે કડી કરણનગર સાયફનમાંથી ઋષભની લાશ મળી આવી હતી. ઋષભની કારની ડેકીમાંથી બે પાનાની સુસાઈડ નોટ મળીઆ અંગે બિલ્ડર પ્રવિણભાઈ દશરથભાઇ પટેલ ફરિયાદ નોંધાવી છેકે , તેઓ સાનિધ્ય હાઇટસ નામથી કન્સ્ટ્રકશન સાઇડો ચલાવે છે. જેમના મોટા પુત્ર ઋષભ કરાઇ ખાતેની કન્સ્ટ્રકશન સાઇટ સાંભળતો હતો.ઋષભના લગ્ન તા. 12 જાન્યુઆરીના હેલી સાથે થયા હતાં. 25 મી જાન્યુઆરીએ ઋષભ ઘરેથી બપોરના આશરે સાડા બારેક વાગે જમીને પોતાની સાઇડ ઉપર ગયો હતો. બાદમાં પોતાની ક્રેટા ગાડી નરોડા ખાતે સર્વીસ સેન્ટર ખાતે લેવા ગયો હતો. બાદ સાંજના રાત થવા આવી છતાં ઋષભનો મોબાઈલ સ્વીચ ઓફ આવતાં સગા સબંધીઓએ મોડી રાત સુધી તેની શોધખોળ કરી હતું. પરંતુ ઋષભનો કોઈ પત્તો લાગ્યો નહોતો. દરમિયાન તા.26 જાન્યુઆરીએ રાયપુર ગામની સીમમાં બહુચર પાન પાર્લર પાસે ક્રેટા ગાડી બિનવારસી મળી આવી હતી. ત્યારે પાર્લરવાળા ભાઈએ રાતના આઠેક વાગે ગાડી મુકીને કોઈ ભાઈ કેનાલ તરફ ગયા હોવાનું જણાવ્યું હતુ. બાદમાં તપાસ કરતા ગાડી ખુલ્લી અને ચાવી પણ હતી.ગાડીની ડેકીમાં સર સામાનની સાથે એક પ્લાસ્ટીકની થેલીમાં એક કવરમાંથી બે પાનાની સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં ઋષભના હાથે લાલ કલરની પેનથી લખાણ લખેલું હતું. ચાર લોકોએ મરી જવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાઈઆ અંગે પ્રદીપભાઈએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છેકે, દિકરા ઋષભના મોત બાબતે તપાસ કરતા કલ્પેશ ઉર્ફ તલાટી અંબાલાલ પટેલ (હાલ રહેવાસી એ/802, નેસ્ટ રેસીડન્સી, કેરાહેજા રોડ કોબા) મનિષ ઉર્ફ સ્પલેન્ડર સોમાભાઇ પટેલ (રહે. બી/101, શિખર રેસીડન્સી, નાના ચિલોડા) ,ક્રિશાલ અરવિંદભાઇ ઉર્ફ વિકમભાઇ પટેલ (રહે.સી/702, બેવરલી હિલ્સ, નાના ચિલોડા) અને મહિપાલસિંહ (તાબુંલ પાર્ન પાર્લર બેવરલી કોમ્પલેક્ષ નાના ચિલોડા) એ કોઈ વાતે ધાક ધમકી આપી ઋષભને માનસિક ટોર્ચ૨ કરી મરવા માટે મજબૂર કર્યો હતો. પોલીસે ચારેય આરોપીઓની શોધખોળ હાથ ધરીઆ અંગે ઇન્ફોસિટી પોલીસ મથકના પીઆઇ વી. આર. ખેરે જણાવ્યું કે, આરોપીઓ ઋષભના સસરાના પરિચિતો છે. પૈસાની લેતીદેતીમાં છેલ્લા બે એક મહિનાથી ઋષભને ટોર્ચર કરવામાં આવતો હતો. ચાર આરોપીઓ પૈકીનો એક ઇસમ મનિષ ઉર્ફ સ્પલેન્ડર પૂર્વ કોર્પોરેટર તારાબેન પટેલનો દીકરો હોવાનું સામે આવ્યું છે. હાલમાં ચારેયને ઝડપી લેવા અમારી સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો પણ એક્ટિવ થઈ છે. ચારેય આરોપીઓને ઝડપી પાડવા માટે લોકલ ક્રાઈમ બ્રાંચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ એક્ટિવ થઈ છે. જે આરોપીઓ છે તે મૃતકના સસરાના પરિચિતો જ છે.
આખરે લાંબા સમયની રાહ જોયા બાદ આજે (29 જાન્યુઆરી, 2026) વડોદરા શહેર ભાજપના નવા સંગઠનની સત્તાવાર જાહેરાત થઈ છે. શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોનીએ પોતાની નવી ટીમના નામો જાહેર કર્યા છે. આ નવા માળખામાં કુલ 45 હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં પાયાના કાર્યકરોને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે જેથી સંગઠનને વધુ મજબૂત બનાવી શકાય. નવી ટીમમાં ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે તેમાં 3 નવા મહામંત્રીઓ અને 8 ઉપપ્રમુખોનો સમાવેશ થાય છે. આ તમામ પદાધિકારીઓ વહીવટી કામગીરી અને સંગઠનાત્મક વ્યવસ્થા સંભાળશે. આ ઉપરાંત વિવિધ મોરચાઓ (યુવા મોરચા, મહિલા મોરચા, અન્ય આગળના મોરચાઓ)ના પ્રમુખો તેમજ મહામંત્રીઓના નામો પણ જાહેર કરવામાં આવ્યા છે. આ નવી ટીમ આગામી દિવસોમાં સ્થાનિક સ્તરની ગતિવિધિઓ, રાજ્ય કક્ષાની રાજકીય વ્યૂહરચના અને આવનારી ચૂંટણીઓમાં વડોદરા ભાજપનું મજબૂત નેતૃત્વ કરશે. ઘણા કાર્યકરો માને છે કે આ નવું માળખું પાર્ટીને વધુ સક્રિય અને જનસંપર્કમાં મજબૂત બનાવશે.
પેટની અંદર હેરોઈન ભરેલી 79 કેપ્સ્યુલ છૂપાવીને અમદાવાદમાં ઘૂસાડવાના ગુનામાં યુગાન્ડાની મહિલા મુકાકીબીબી હના નેસનીજુવા ચેરીકને અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના સ્પેશિયલ NDPS જજ વી.બી. રાજપૂતે 20 વર્ષની સજા અને બે લાખનો દંડ ફટકાર્યો હતો. જો દંડની રકમ ના ભરે તો વધુ બે વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો આદેશ કર્યો છે. આરોપી પાસેથી હેરોઈનનો નેટ 868 ગ્રામ જથ્થો પકડાયોબંને પક્ષકારોની રજૂઆત સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદામાં નોંધ્યું છે કે, આરોપીના સભાન કબજામાંથી વગર પાસ પરમીટનો ગેરકાયદેસર માદક પદાર્થ હેરોઈનનો નેટ 868 ગ્રામ જથ્થો પકડાયો છે. તેવા સંજોગોમાં NDPS એક્ટના શિડ્યૂલમાં 56 ઉપર હેરોઈનનો વ્યવસાયિક જથ્થો 250 ગ્રામ દર્શાવ્યો છે. આમ હાલ આરોપી પાસેથી વ્યાવસાયિક જથ્થાથી વધુ માત્રામાં માદક પદાર્થ હેરોઈન વિદેશથી ભારત આવકતા પકડાયો છે. NDPS કેસમાં 20 વર્ષની સજા અને બે લાખનો દંડની જોગવાઈઆરોપીએ NDPSની જુદી જુદી કલમોના ભંગ બદલ કોમર્શિયલ કોન્ટીટી માટે મહત્તમ 20 વર્ષની સજા છે અને 10 વર્ષથી ઓછી નહીં તેવી સખ્ત કેદની સજા તથા 1 લાખથી ઓછો નહીં અને 2 લાખ સુધીના દંડની જોગવાઈ છે. તેમ જ કારણો આપીને બે લાખથી વધુ દંડ કરવાની પણ જોગવાઈ છે. પ્રવર્તમાન સમયમાં નશીલા પદાર્થોની થતી હેરાફેરી ખૂબ જ ગંભીર અને પડકારજનક મુદ્દો છે. આવા આરોપી વિદેશથી ભારત આવી નશીલા પદાર્થનું રેકેટ ચલાવતા હોવાના કારણે ઘણાં કુંટુંબો નાશ પામે છે. મહિલા આરોપીએ 79 કેપ્સ્યુલો પોતાના પેટમાં સંતાડી રાખીસ્કૂલ કોલેજમાં જતા કિશોર-કિશોરીઓ આવા નશીલા પદાર્થની ટેવના કારણે પોતાની યુવા અવસ્થા નાશ કરે છે તે રીતે દેશનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. આ ગુનામાં મહિલા આરોપીએ પોતાના શરીરમાં 79 કેપ્સ્યુલો પોતાના પેટમાં સંતાડી રાખીને આવી અને તેણીની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ કેપ્સ્યુલોનો જથ્થો બહાર નીકળ્યો છે. આમ આરોપીએ પોતાના આર્થિક ફાયદા સારુ પોતાના જીવને પણ જોખમમાં મૂક્યો છે. વ્યક્તિગત હિત કરતાં દેશનું હિત વધુ મહત્વનુંમહિલા આરોપી માદક પદાર્થની આંતરરાષ્ટ્રીય હેરાફેરીમાં સંકળાયેલી છે. જે વખતે વ્યક્તિગત હિત કરતાં દેશનું હિત વધુ મહત્વનું જણાઇ આવે છે. જેથી સ્પેશિયલ પી.પી. સુધીર ગુપ્તા દ્વારા ઉપરોક્ત રજૂ થયેલા ચુકાદામાં પ્રસ્થાપિત કર્યાના સિધ્ધાંતોને ધ્યાને લેતાં આરોપીને મોટી માત્રામાં ડ્રગ્સ હેરાફેરીના આવા ગંભીર ગુનામાં મહત્તમ સજા લાદવામાં ન આવે તો, કાયદાનો હેતુ અને નિવારક અસર નિષ્ફળ જશે તેમ જણાઇ આવે છે. મુકાકીબીબી હના શારજહાથી અમદાવાદ એર અરેબીયા ફ્લાઇટમાં આવીફરિયાદપક્ષના કેસની ટૂંકમાં હકીકત જોવામાં આવે તો, ફરિયાદી સંજયકુમાર સીંગ જંગ બહાદુર સીંગ ફેબ્રુઆરી- 2022માં ડી.આર.આઇ. માં ઇન્ટેલીજન્સ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે તા. 15 ફ્રેબ્રુઆરી 2022ના રોજ રાત્રે પોતાના અધિકારી ડે.ડાયરેકટર વૈભવ વહવાલની બાતમીના આધારે પોતાની કચેરીના અધિકારીઓએ અમદાવાદ ઇન્ટર નેશનલ એરપોર્ટ ઉપર મુકાકીબીબી હના તે શારજહાથી અમદાવાદ એર અરેબીયા ફ્લાઇટમાં તા. 15 ફ્રેબ્રુઆરીના રોજ 4:35 કલાક આસપાસ માદક પદાર્થના જથ્થા સાથે આવવાની છે તેવી બાતમીના આધારે તેને અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે તે આવી હતી. તેને રોકવામાં આવી હતી. મુકાકીબીબીને અમદાવાદ એરપોર્ટથી સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતાતેના પેટની અંદર છુપાવેલા શંકાસ્પદ પદાર્થની હાજરી જણાતા તેને સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી. જ્યાં તેની મેડિકલ સારવાર દરમિયાન કેપ્સ્યુલો નીકળી અને તે કેપ્સ્યુલોનું પરિક્ષણ કરાવતા સદર પદાર્થ હેરોઇન હોવાનું માલુમ પડ્યું હતું. આ જથ્થો માદક પદાર્થનો હોય, પોતાના અન્ય અધિકારીએ જપ્ત કર્યો હતો. આમ આ ગુનામાં મુકાકીબીબીને અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે અટકાવી સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. તેના શરીરમાંથી કુલ્લે- 79 કેપ્સ્યુલો વજન 868 ગ્રામ હેરોઇન વગર પાસ પરમીર્ટે રાખી અમદાવાદ એરપોર્ટ ખાતે પકડાઇ જતા NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. આરોપીને ઓછામાં ઓછી સજા કરવા રજૂઆતઆ કેસ અદાલત સમક્ષ ચાલ્યો હતો. બંને પક્ષકારો તથા સાંયોગિક પુરાવાને ધ્યાનમાં લઇને કોર્ટે આરોપીને દોષિત જાહેર કરી હતી. સજા કરતાં પહેલાં આરોપીને સાંભળવા માટે મેટર રાખવામાં આવી હતી. ત્યારે બચાવ પક્ષે એવી રજૂઆત કરી હતી કે આરોપી મહિલા છે. આરોપીનો પ્રથમ ગુનો છે. જેથી માનવતાના ધોરણે આરોપીને ઓછામાં ઓછી સજા કરવા રજૂઆત કરી હતી. જ્યારે ડીઆરઆઇ તરફથી સ્પેશ્યલ પી.પી. સુધીર પી. ગુપ્તાએ રજૂઆત કરી હતી કે આરોપીના પેટમાંથી 79 કેપ્સ્યુલ હેરોઇનની વગર પાસ પરમીટે પકડાયેલ હોવાનું પુરવાર થયું છે. આરોપી પાસેથી પકડાયેલ માદક પદાર્થનો જથ્થો કોમર્શિયલઆરોપીએ પોતાના પેટમાં મુદ્દામાલ માદક પદાર્થ છુપાવી પોતાના જીવનને પણ સંકટમાં મૂકેલ છે. આરોપી વિદેશથી ભારત આવેલા છે અને માદક પદાર્થની હેરાફેરીમાં સંકળાયેલા છે. જેનાથી દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડેલ છે. માદત પદાર્થના કારણે દેશનું યુવાધન ડ્રગ્સના રવાડે ચડી બરબાદ થઇ રહ્યું છે. દિન-પ્રતિદિન ડ્રગ્સના કેસનું પ્રમાણ વધી રહ્યું છે. હાલમાં ટૂંકાગાળામાં વિદેશથી ભારત માદક પદાર્થ ઘૂસાડવાના ઘણાં ગુનો નોંધાયેલા છે. આરોપી પાસેથી પકડાયેલ માદક પદાર્થનો જથ્થો કોમર્શિયલ છે. જેથી સમાજમાં દાખલો બેસાડવા મહત્તમ સજા કરવા વિનંતી કરી હતી. તે અંગેના ચુકાદાઓ રજૂ કર્યા હતા. પક્ષકારોની રજૂઆત બાદ કોર્ટે આરોપીને ઉપર્યુક્ત હુક્મ કર્યો હતો.
ભાવનગર સ્થિત શ્રીમતી વી. પી. કાપડિયા મહિલા આર્ટસ કોલેજના એન.એસ.એસ. યુનિટ દ્વારા 'આત્મનિર્ભર ભારત' વિષય પર એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાનમાં એમ.જે. કોલેજ ઓફ કોમર્સના આચાર્ય ડૉ. દિલીપભાઈ જોશીએ વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનવાની આવશ્યકતા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વર્તમાન સમયમાં રોજગારીની વિપુલ તકો, ઇનોવેશન, સ્ટાર્ટઅપ તેમજ ભારતના યુવાનો દ્વારા વિવિધ ક્ષેત્રોમાં પ્રાપ્ત થયેલી સફળતાઓ વિશે વિસ્તૃત માહિતી આપી.ડૉ. જોશીએ વિદ્યાર્થીઓને સ્વરોજગાર અપનાવવા અને નવીન વિચારસરણી વિકસાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના આચાર્ય (ઈ.ચા) ડૉ. ચંદ્રિકાબેન સોલંકીએ સ્વાગત પ્રવચન આપી કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. અધ્યાપક શ્રી જિતેન્દ્રભાઈ મકવાણાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું, જ્યારે અધ્યાપક શ્રી ધવલભાઈ ચૌધરીએ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં કોલેજના અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરત મહાનગરપાલિકા અત્યારે બે મુખ્ય કારણોસર ચર્ચાના ચકડોળે ચડી છે. એક બાજુ વહીવટી વડાઓની ગેરહાજરીમાં પક્ષના પ્રમુખે કચેરીનો દોર સંભાળ્યો છે, તો બીજી બાજુ ખજોદ સાઇટ પર થયેલા કરોડોના કચરા કૌભાંડની તપાસમાં થઈ રહેલો વિલંબ અને કોન્ટ્રાક્ટરની મનમાનીએ અનેક સવાલો ઉભા કર્યા છે. મેયર-કમિશનરની ગેરહાજરીમાં પરેશ પટેલની રૂમ નં. 88માં ગુપ્ત બેઠકપાલિકા કમિશનર, મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સાથે બેઠકમાં વ્યસ્ત હતા, ત્યારે સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે પાલિકાની મુખ્ય કચેરીએ પહોંચીને સૌને ચોંકાવી દીધા હતા. સાંજે 6 વાગ્યાના અરસામાં તેઓ સીધા રૂમ નંબર 88 પહોંચ્યા હતા, જે સામાન્ય રીતે કમિશનરની બેઠકો માટે વપરાય છે. વહીવટી વડાઓની ગેરહાજરીમાં પક્ષના પ્રમુખ દ્વારા લેવાયેલી આ બેઠક પાલિકાના ગલિયારામાં ગરમાગરમ ચર્ચાનો વિષય બની છે. સીએમઓ સાથે વીડિયો કોન્ફરન્સ અને ડેપ્યુટી કમિશનર સાથે મંત્રણાસૂત્રોના જણાવ્યા અનુસાર, પરેશ પટેલે બંધ રૂમ નં. 88 ખોલાવી ડેપ્યુટી કમિશનર દિનેશ ગુરવ સાથે અંદાજે 15 મિનિટ સુધી મહત્વની ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી કાર્યાલય (CMO) સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સીધો સંવાદ પણ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આગામી 31મી જાન્યુઆરીએ મુખ્યમંત્રીના સુરત આગમનને ધ્યાનમાં રાખીને કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા આ કવાયત હાથ ધરાઈ હોવાનું કહેવાય છે, પરંતુ પદાધિકારીઓની ગેરહાજરીમાં 'સંગઠન'નો આ વહીવટી હસ્તક્ષેપ ટીકાપાત્ર પણ બન્યો છે. 2500 ટનની ક્ષમતા સામે માત્ર 500 ટનનું કામ, 107 કરોડની લ્હાણીબીજી તરફ, સુરત પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગમાં થયેલું કરોડોનું કૌભાંડ વકરતું જાય છે. સ્ફોટક વિગતો મુજબ, ખજોદ સાઇટ પર રોજનો 2500 મેટ્રિક ટન કચરો પ્રોસેસ કરવાની ક્ષમતા હોવા છતાં વાસ્તવમાં માત્ર 500 ટન જ કામ થતું હતું. 213 કરોડના આ પ્રોજેક્ટમાં અડધું કામ થયું હોવા છતાં અધિકારીઓએ એજન્સીને 107 કરોડ રૂપિયા ચૂકવી દીધા હોવાના ગંભીર આક્ષેપો થયા છે. ડિજિટલ ડેટા હોવા છતાં તપાસ સમિતિની 'મંથર ગતિ' શંકા જન્માવે છે. કોન્ટ્રાક્ટરે 2.50 કરોડની પેનલ્ટી ભરવામાં હાથ ઊંચા કર્યાગેરરીતિ આચરનાર એજન્સી સી.ડી.ટ્રાન્સપોર્ટેશન સામે પાલિકાએ 2.50 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જોકે, પખવાડિયાથી વધુ સમય વીતી જવા છતાં કોન્ટ્રાક્ટરે દંડ ભરવાની તસ્દી લીધી નથી. એવું લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરને તંત્રનો કોઈ ડર રહ્યો નથી. બીજી તરફ, આ કૌભાંડમાં જવાબદાર પૂર્વ અધિકારીઓ જ્વલંત નાયક અને અબ્બાસ પઠાણને નોટિસ ફટકારવામાં આવી છે, જેમના ખુલાસા રજૂ કરવાની અંતિમ મુદત શુક્રવારે પૂર્ણ થઈ રહી છે. તપાસમાં વિલંબ અને નવા 'વર્જ મશીન' પર મદારપાલિકા પાસે ટ્રકની ટ્રીપથી લઈને તમામ ડેટા ઉપલબ્ધ હોવા છતાં માત્ર નિવેદનો લેવાના નામે તપાસને લાંબી ખેંચવામાં આવી રહી હોવાનો રોષ જોવા મળી રહ્યો છે. હવે પાલિકા તંત્ર 18 કલાક સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ કરવા માટે 'વર્જ મશીન' પર ભાર મૂકી રહ્યું છે જેથી ભવિષ્યમાં આવી ગેરરીતિ અટકે. પરંતુ સવાલ એ છે કે જે 107 કરોડ રૂપિયા જનતાના ટેક્સના પરસેવાના પહેલેથી જ ચૂકવાઈ ગયા છે, તેની વસૂલાત અને જવાબદારો સામે કડક પગલાં ક્યારે લેવાશે?
વડોદરા-દાહોદ મેમૂ ટ્રેન કાલથી ફરી શરૂ થશે:પશ્ચિમ રેલવેનો નિર્ણય, મુસાફરોની સુવિધામાં વધારો
મધ્ય ગુજરાતના મુસાફરો માટે સારા સમાચાર છે. વડોદરા-દાહોદ-વડોદરા મેમૂ ટ્રેન આવતીકાલ, 30 જાન્યુઆરીથી ફરી શરૂ થશે. પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ કેટલાક કારણોસર આ સેવા રદ કરવામાં આવી હતી. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાએ આ માહિતી આપી હતી. ટ્રેન નંબર 69233/69234 વડોદરા-દાહોદ-વડોદરા મેમૂ ટ્રેન તેના અગાઉના નિર્ધારિત સમય મુજબ જ સંચાલન કરશે. આ સેવા ફરી શરૂ થવાથી વડોદરા, ગોધરા અને દાહોદ વચ્ચે દૈનિક અવરજવર કરતા મુસાફરોને મોટી રાહત મળશે.
પંચમહાલ SOG પોલીસે ગોધરા શહેરમાં જાહેરનામા ભંગ બદલ એક વ્યક્તિ સામે કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી 28 જાન્યુઆરીના રોજ દાહોદ રોડ પર આવેલા મહિન્દ્રા શોરૂમ પાસે તપાસ દરમિયાન કરવામાં આવી હતી. રમેશ ઉમાકાન્ત શર્મા નામના વ્યક્તિએ પોતાના કબજાનું મકાન પરપ્રાંતીય ઇસમને ભાડે આપ્યું હતું. જોકે, તેમણે ભાડુઆત પાસેથી કોઈ આધાર પુરાવા મેળવ્યા ન હતા અને સ્થાનિક પોલીસમથકે પણ આ અંગે જાણ કરી ન હતી. પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ, જિલ્લામાં કોઈપણ મિલકત, મકાન કે અન્ય સંપત્તિ રાજ્ય બહારના વ્યક્તિઓને ભાડે આપતા પહેલા સ્થાનિક પોલીસમથકે જાણ કરીને તેની નોંધણી કરાવવી ફરજિયાત છે. આ જાહેરનામાનો ભંગ કરવા બદલ ગોધરા શહેર એ ડિવિઝન પોલીસમથકે રમેશ ઉમાકાન્ત શર્મા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
જૂનાગઢમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં અંદાજે અઢી વર્ષ પહેલાં ઘટેલી હૃદયદ્રાવક અને લોહિયાળ હત્યાના કેસમાં આજે નામદાર સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. હોસ્પિટલના પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા અતુલ ઉર્ફે મોન્ટી પરમારે પીએમ વિભાગના કર્મચારી અરવિંદ જેઠવાની છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી હતી. આ કેસમાં જૂનાગઢ સેશન્સ જજ બી.જી. દવેએ 25 વર્ષીય આરોપી અતુલને આજીવન કેદની સજા અને 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.. શું હતી સમગ્ર ઘટના.?. આ લોહિયાળ ખૂની ખેલ 1 સપ્ટેમ્બર, 2023ના રોજ મધરાતે ખેલાયો હતો. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ, જ્યાં હજારો દર્દીઓ સાજા થવાની આશાએ આવતા હોય છે, ત્યાં જ હોસ્પિટલના કર્મચારીઓ વચ્ચે લોહીની નદીઓ વહી હતી. પીએમ વિભાગમાં કાર્યરત અરવિંદ જેઠવા નામના કર્મચારી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગ પાસે મધરાતે આરામ કરી રહ્યા હતા. આ દરમિયાન કોન્ટ્રાક્ટ બેઝ પર પટ્ટાવાળા તરીકે કામ કરતો અતુલ પરમાર અચાનક હાથમાં તીક્ષ્ણ છરી લઈને રૂમમાં ધસી આવ્યો હતો. અતુલે કોઈ પણ કારણ વગર સૂતેલા અરવિંદ જેઠવા પર ઉપરા-છાપરી છરીના ઘા ઝીંકવાનું શરૂ કર્યું હતું. આ હુમલો એટલો ગંભીર હતો કે અરવિંદભાઈના પેટના આંતરડા બહાર નીકળી ગયા હતા. ઘટનાને નજરે જોનાર નિખિલ સોલંકીના જણાવ્યા મુજબ, જ્યારે તેઓ રૂમમાં દોડી ગયા ત્યારે લોહીલુહાણ હાલતમાં અરવિંદભાઈએ છેલ્લા શબ્દો કહ્યા હતા કે, અતુલ મને છરી મારીને ભાગે છે, તેને પકડો.ગંભીર રીતે ઘવાયેલા અરવિંદભાઈને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા,પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેમનો જીવ બચી શક્યો ન હતો. સીસીટીવી ફૂટેજ અને એફએસએલ રિપોર્ટ બન્યા મજબૂત પુરાવા હત્યા બાદ જૂનાગઢ પોલીસના પીઆઈ એ.જી. જાદવ દ્વારા આ કેસની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ અતુલ પરમારને ઝડપી પાડ્યો હતો. કોર્ટમાં આ કેસ ચાલતા મુખ્ય સરકારી વકીલ એન.કે. પુરોહિતે ધારદાર દલીલો રજૂ કરી હતી.હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ, પ્રત્યક્ષદર્શીઓની જુબાની અને એફએસએલના રિપોર્ટને આધારે આરોપી સામેનો ગુનો સાબિત થયો હતો. ગરીબ પરિસ્થિતિને ધ્યાને રાખી ફાંસીના બદલે આજીવન કેદ સેશન્સ કોર્ટે ચુકાદો આપતી વખતે અવલોકન કર્યું હતું કે આરોપીએ અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરી છે. જોકે, આરોપીની યુવાન વય (25 વર્ષ) અને તેના પરિવારની ગરીબ આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોર્ટે તેને મૃત્યુદંડના બદલે આજીવન કેદની સજા સંભળાવી છે. આરોપી અતુલ પરમારને આઈપીસી કલમ 302 હેઠળ આજીવન જેલની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં ચકચાર જગાવનાર કેસનો અંત આ કેસની ગંભીરતા એ વાત પરથી સમજી શકાય છે કે જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કર્મચારી પર જ હુમલો થયો હતો. ડીવાયએસપી હિતેશ ધાંધલીયાના માર્ગદર્શન હેઠળ પોલીસે આરોપી વિરુદ્ધ જે ચાર્જશીટ તૈયાર કરી હતી, તેને કોર્ટે ગ્રાહ્ય રાખી છે. આ ચુકાદાથી મૃતકના પરિવારને ન્યાય મળ્યો છે અને સિવિલ હોસ્પિટલના કર્મચારીઓમાં પણ કાયદા પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.આમ, અઢી વર્ષ પહેલાં જૂનાગઢમાં બનેલી આ સનસનાટીભરી ઘટનાના હત્યારાને હવે આજીવન જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.
સુરત અને મુંબઈના હીરા ઉદ્યોગ તેમજ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા હાથ ધરવામાં આવેલી દરોડાની કાર્યવાહી આજે બીજા દિવસે પણ અત્યંત આક્રમક રીતે ચાલુ રહી હતી. લક્ષ્મી ડાયમંડ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રના જાણીતા નામ એવા અનિલ બગદાણા ગ્રુપના કુલ 30થી વધુ ઠેકાણે તપાસનો ધમધમાટ જોવા મળ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ તપાસમાં અત્યાર સુધી 40થી વધુ એવી કંપનીઓ સામે આવી છે, જેના નાણાકીય વ્યવહારો શંકાસ્પદ છે. આ કંપનીઓ 'શેલ કંપની' કાગળ પરની કંપનીઓ હોવાની પ્રબળ શક્યતાને આધારે ડેટા સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. જમીન સોદાઓ અને 'કાચા-પાકા' વ્યવહારોની ઊંડી તપાસઅનિલ બગદાણા ગ્રુપના કિસ્સામાં આવકવેરા વિભાગે જમીનના સોદાઓની ફાઈલો ખોલી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા અનેક જમીન સોદાઓની યાદી આઈટીના હાથમાં લાગી છે. રેકોર્ડ પર દર્શાવવામાં આવેલી રકમ અને વાસ્તવિક લેવડ-દેવડ વચ્ચેના તફાવતને પકડવા માટે અધિકારીઓ હાલ ઘર અને ઓફિસમાંથી મળી આવેલી ડાયરીઓ, કાચી નોંધો, સાટાખતો અને ચિઠ્ઠીઓની બારીકાઈથી તપાસ કરી રહ્યા છે. શંકા એવી પણ સેવાઈ રહી છે કે કેટલાક મહત્વના દસ્તાવેજો દરોડા પહેલા જ મિત્રો કે અન્ય વિશ્વાસુ વ્યક્તિઓને ત્યાં ખસેડી દેવાયા છે, જેના પગલે તપાસનો વ્યાપ હજુ વધી શકે છે. સેબી અને મેહુલ ચોકસી કનેક્શનમુંબઈમાં ચાલી રહેલી તપાસમાં સેબીના આદેશનો હવાલો આપવામાં આવી રહ્યો છે. ખાસ કરીને રાકેશ ગજેરા દ્વારા કરવામાં આવેલા શેરબજારના વ્યવહારોમાં 'ઇનસાઈડર ટ્રેડિંગ' થયું હોવાની આશંકાએ અધિકારીઓએ વિગતો મેળવવાનું શરૂ કર્યું છે. જોકે, મેહુલ ચોકસી સાથેના કનેક્શન બાબતે અધિકારીઓએ હજુ સુધી કોઈ સત્તાવાર ફોડ પાડ્યો નથી, પરંતુ સૂત્રોનું માનીએ તો આ તપાસના તાર છેક શેરબજારના મોટા કૌભાંડો સુધી જોડાયેલા હોઈ શકે છે. સુરતના પ્રવીણ ભૂત, આશિષ અગ્રવાલ અને તરુણ ભગત જેવા નામો પણ હાલ આઈટીના સકંજામાં છે. યુનિવર્સલ ગ્રુપ અને શાંતાબેન ટ્રસ્ટ પણ રડારમાંમાત્ર હીરા કે જમીન જ નહીં, પરંતુ મોટા ટ્રસ્ટો અને અન્ય બિઝનેસ ગ્રુપ પણ આ તપાસમાંથી બાકાત નથી. યુનિવર્સલ ગ્રુપના કિશોર ગોવલિયા અને શાંતાબેન ટ્રસ્ટ જેવી સંસ્થાઓના નાણાકીય વ્યવહારોની પણ તપાસ ચાલી રહી છે. ગીરીધર નામના શખ્સને ત્યાં પણ તપાસ યથાવત છે. આ તમામ વ્યવહારોમાં કરચોરીની મોટી રકમ બહાર આવે તેવી સંભાવના છે. ઇડીની એન્ટ્રીની સંભાવના જે રીતે હવાલા અને શેલ કંપનીઓના વ્યવહારો બહાર આવી રહ્યા છે, તે જોતા મની લોન્ડરિંગના પાસાઓ તપાસવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ગમે ત્યારે આ તપાસમાં જોડાઈ શકે છે. ઇડીના સૂત્રોના જણાવ્યા અનુસાર, આવકવેરા વિભાગનો પ્રાથમિક રિપોર્ટ આવ્યા બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે. હાલની સ્થિતિ જોતા, સુરત, અમદાવાદ અને મુંબઈમાં ચાલી રહેલી આ તપાસ હજુ આગામી 4થી 5 દિવસ સુધી ચાલે એવી શક્યતા છે. અનિલ બગદાણાને ત્યાં અગાઉ થયેલી તપાસમાં કોઈના ચોક્કસ નિવેદનને આધારે આ વખતે કડક કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
રાજકોટ નજીક કુવાડવા ગામે રહેતા વાલાભાઈ રામભાઈ કટેસણીયા (ઉ.વ.65) ગઈકાલે સાંજે 4 વાગ્યા આસપાસ ચાલીને જતા હતા ત્યારે માલિયાસણ બ્રિજ ભારત પેટ્રોલ પંપ પાસે કોઈ કાર ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી હતી જેથી તેઓને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન આજે તેમનું મોત નીપજ્યું હતું. વાલાભાઈ મૂળ મોલડી ગામના વતની હતા અને વર્ષોથી કુવાડવા ગામે વાડી વાવવા રાખી ખેત મજૂરી કરતા હતા. વાડીએથી ચાલીને ઘરે જતાં હતા ત્યારે બનાવ બન્યો હતો. તેમને સંતાનમાં 5 દીકરી 2 દીકરા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પત્નીની નજર સામે પતિનું મોત રાજકોટ નજીક હરિપર ગામના પાટીયા પાસે આવેલી બિલટેક કંપનીમાં રહેતા અને ત્યાં જ મજૂરીકામ કરતા રાજુભાઈ કશ્યપ (ઉં.વ.36) અને તેની પત્ની પૂજાબેન રાજુભાઈ કશ્યપ (ઉં.વ.30) ગઈકાલે કારખાનામાં રજા હોવાથી દંપતી બજારમાં ખરીદી કરવા ગયા હતા અને બાઈક પર પરત કારખાને જતા હતા ત્યારે રાત્રે 8.30 વાગ્યા આસપાસ મેટોડા ગેટ નંબર 3 પાસે અજાણ્યા ટ્રક ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેમાં રાજુભાઈના માથા અને ચહેરા પર ટ્રકનું વ્હીલ ફરી વળ્યું હતું. જ્યારે પૂજાબેન રોડની સાઈડમાં ફંગોળાઈ જતા ઇજા પહોંચી હતી. બંનેને 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં પતિ રાજુને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મૃતક રાજુભાઈને સંતાનમાં 1 દીકરો અને 1 દીકરી છે. તેઓ મૂળ ઉત્તરપ્રદેશના વતની હતા. હાલ મેટોડા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે. વિદ્યાર્થીનીએ અભ્યાસના ટેનશનમાં ફિનાઈલ પીધું રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર કેદારનાથ ગેઇટ નજીક રહેતી 16 વર્ષની વિદ્યાર્થિનીએ અભ્યાસના ટેન્શનમાં ફિનાઇલ પી લેતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને કરતા પોલીસે વિદ્યાર્થિનીનું નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં વિદ્યાર્થીની ધોરણ 9માં અભ્યાસ કરતી હોવાનું અને અભ્યાસનું ટેન્શન આવતા ફિનાઇલ પી લીધું હોવાનું સામે આવ્યું હતું. પરિણીતાએ ઘરકંકાસના કારણે એસિડ પીધું જયારે બીજા બનાવમાં બજરંગવાડી વિસ્તારમાં રહેતી મુન્નીબેન સાહિલભાઇ પરમાર (ઉ.વ.24) નામની પરિણીતા એસિડ પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જેથી હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ તપાસમાં તેણીના લગ્ન અઢી વર્ષ પહેલા થયા હોવાનું સામે આવ્યું હતું અને તેને સંતાનમાં એક દિકરી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં પરિણીતાએ ઘરકંકાસના કારણે પી લીધાનું સામે આવ્યું છે. યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો ત્રીજા બનાવમાં રાજકોટ મોરબી હાઇવે પર કાગદડીના પાટીયા પાસે રહી છુટક મજૂરી કરતાં જગદીશભાઇ છગનભાઇ ચાવડા (ઉ.વ.35) નામના યુવાને ઝેરી દવા પી લેતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા બનાવ અંગે કુવાડાવ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચી નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં તેને સંતાનમાં એક દિકરો હોવાનું અને પત્નિ રિસામણે હોવાનું સામે આવ્યું છે.
સેન્ટ્રલ GST ગાંધીનગર કમિશનરના અધિકારીઓએ 17.5 કરોડની ખોટી રીતે ઈનપુટ ટેક્સ ક્રેડિટ લેવાના કેસમાં મોડાસાના મેટ્રો વાયર ઇન્ડસ્ટ્રીઝના માલિક પ્રતિકકુમાર પટેલની ધરપકડ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. બોગસ કંપનીઓ ખોલી બિલ ઈસ્યૂ કરવામાં આવતાસેન્ટ્રલ GST નોર્થ ગાંધીનગરના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી મોડાસાની મેટ્રો વાયર ઇન્ડસ્ટ્રીઝની તપાસ ચાલુ હતી. દરમિયાન એવી માહિતી બહાર આવી હતી કે, ઘરના પરિવારના સભ્યો અને મિત્રોના નામે બોગસ કંપનીઓ ખોલીને માત્ર બિલ ઈસ્યૂ કરવામાં આવતા હતા. દરમિયાન એવી પણ માહિતી બહાર આવી હતી કે, કંપનીના માલિકે રોયલ ઇન્ડસ્ટ્રીઝ, ખુશ ઇન્ડસ્ટ્રીઝ, રોયલ સ્ટીલ ઇન્ડરસ્ટ્રીઝ અને ભાગ્યોદય એન્ટરપ્રાઇઝ સહિત 10થી 15 બોગસ કંપનીઓ ખોલીને માત્ર બોગસ બિલિંગ જ કરતા હતા. મેટ્રો વાયર ઇન્ડસ્ટ્રીઝના માલિક પ્રતિકુમાર પટેલની ધરપકડમાલસામાનની કોઈપણ હેરાફેરી કરવામાં આવતી ન હતી. જેના કારણે સેન્ટ્રલ GST ગાંધીનગર કમિશનર રેટના અધિકારીઓએ મેટ્રો વાયર ઇન્ડસ્ટ્રીઝના માલિક પ્રતિકુમાર પટેલની ધરપકડ કરીને મોડાસાની કોર્ટમાં રજૂ કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. સમગ્ર કેસની તપાસ ચાલુ છે અને ઇનપુટ ટેક્સ ક્રેડિટની મર્યાદા કરતા વધારે ક્રેડિટ લઈને સરકારને આર્થિક નુકસાન કર્યું છે. હાલ 17.5 કરોડની ખોટી રીતે ક્રેડિટ લેવામાં આવી છે. આ ક્રેડિટ 20 કરોડથી પણ વધારે થઈ શકે છે અને હજુ પણ વધુ લોકોની ધરપકડ થવાની પણ શક્યતા છે.
સુરેન્દ્રનગરના રતનપર બાયપાસ રોડ પર આવેલા મેક્શન સર્કલ પાસે ધોળા દિવસે એક સગીરની હત્યા કરવામાં આવી છે. અંદાજે 16 વર્ષીય સગીરને બે થી ત્રણ અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના અંગત અદાવતને કારણે બની હોવાનું અનુમાન છે. હુમલાખોરો હત્યા કર્યા બાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે.
ગાંધીનગરમાં સરકારી જમીન પચાવી પાડીને ઉભા કરી દેવાયેલા ગેરકાયદેસર દબાણો સામે પાટનગર યોજના વિભાગે ફરી એકવાર આક્રમક વલણ અપનાવી ઝૂંપડા હટાવ ઝુંબેશ હાથ ધરી હતી. આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ત્રાટકેલી ટીમોએ શહેરના વિવિધ 8 સેક્ટરોમાં સરકારી જમીન પણ ખડકાયેલા દબાણો ઉપર JCB ફેરવી દીધું હતું અને છૂટાછવાયા અંદાજે 250 જેટલા કાચા-પાકા દબાણોનો સફાયો કર્યો હતો. 8 જેટલા સેક્ટરોમાં ઝૂંપડા હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી હતીસરકારી જમીનો પર થતા ઝૂંપડા દબાણોના સામ્રાજ્યને રોકવા માટે વહીવટી તંત્ર દ્વારા આજે એક મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. પાટનગર યોજના વિભાગની ટીમ દ્વારા શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના કુલ 8 જેટલા સેક્ટરોમાં ઝૂંપડા હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જે અન્વયે અંદાજે 250 ઝૂંપડાના કાચા-પાકા દબાણોને દૂર કરી કરોડોની સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. જોકે, આ કાર્યવાહી શરૂ કરતા પૂર્વે માનવતાના ધોરણે પાટનગર યોજના વિભાગ દ્વારા શ્રમિકોને પોતાનો ઘરવખરીનો સામાન ખસેડી લેવા માટે પૂરતો સમય અને તાકીદ કરવામાં આવી હતી. સામાન હટાવ્યા બાદ તુરંત જ તંત્રએ જેસીબીની મદદથી દબાણો તોડવાની શરૂઆત કરી હતી. આ કામગીરીમાં સેક્ટર 3, 4, 5, 6, 8, 25, 26 અને 27ને આવરી લેવામાં આવ્યા હતા. 900થી વધુ દબાણો હટાવીને રેકોર્ડબ્રેક કામગીરી કરવામાં આવી હતીકોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પાટનગર યોજના વિભાગના અલગ-અલગ ડિવિઝનની 17 ટીમો સાથે પોલીસનો મોટો કાફલો તૈનાત રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અંદાજે ચારેક મહિના પહેલા પણ પાટનગર યોજના વિભાગ અને મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે ચરેડીથી પેથાપુર સુધીના પટ્ટામાં 900થી વધુ દબાણો હટાવીને રેકોર્ડબ્રેક કામગીરી કરવામાં આવી હતી. આજે ફરીથી શહેરના આંતરિક સેક્ટરોને દબાણમુક્ત કરવાનું અભિયાન હાથ ધરાયું હતું. તંત્ર આંખ ખાડા કાન કરવામાં આવી રહ્યા હોવાની બૂમો પડીઆજની સઘન કામગીરી બાદ પણ હજુ અનેક વિસ્તારોમાં દબાણો બાકી છે. પાટનગર યોજના વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ આ ઝુંબેશ આવતીકાલે પણ યથાવત રહેશે. આવતીકાલે ખાસ કરીને સેક્ટર-7 અને સેક્ટર-11 સહિતના આસપાસના વિસ્તારોમાં રહેલા ગેરકાયદેસર ઝૂંપડા અને શેડ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, શહેરના સેક્ટર 19, સેક્ટર 2, સેક્ટર 1 સહિતના વિસ્તારોમાં વગદાર મકાન માલિકોએ સરકારી જમીન ઉપર પ્રાઇવેટ ગાર્ડન ઉભા કરીને ગ્રીન નેટ લગાવી કરોડોની સરકારી જમીન પચાવી પાડવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા આંખ ખાડા કાન કરવામાં આવી રહ્યા હોવાની પણ બુમરાણો ઉઠી છે.
બોટાદ જિલ્લાને મતદાર જાગૃતિ માટેની 'બોટ્રોન' પહેલ બદલ રાષ્ટ્રીય સન્માન મળ્યું છે. આ ગૌરવ બદલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા જિલ્લા કલેક્ટર ડો. જિન્સી રોયનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પુરસ્કાર 16મા રાષ્ટ્રીય મતદાર દિવસ, 25 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં આયોજિત રાષ્ટ્રીય સમારોહ દરમિયાન એનાયત કરવામાં આવ્યો હતો. બોટાદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. જિન્સી રોયે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આ પુરસ્કાર સ્વીકાર્યો હતો. 'બોટ્રોન' (BOTRON) એ બોટાદ જિલ્લામાં મતદાર જાગૃતિ માટે અમલમાં મૂકાયેલી એક અનોખી અને નવીન ટેકનોલોજી આધારિત પહેલ છે. આ પહેલને 'Innovative Voter Awareness Initiatives' શ્રેણી હેઠળ રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો છે. ગુજરાત રાજ્યમાંથી આ શ્રેણીમાં માત્ર બોટાદ જિલ્લાને આ ગૌરવ પ્રાપ્ત થયું છે.વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ શંકરભાઈ ધોળું અને તેમની ટીમ દ્વારા 28 જાન્યુઆરી, 2026ના રોજ સાંજે 5:30 કલાકે આ સન્માન સમારોહ યોજાયો હતો.
વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો:વાપી-ઉદવાડા વચ્ચે આરોપી ઝડપાયો, RPFની ઝડપી કાર્યવાહી
વલસાડ જિલ્લાના વાપી નજીક 27 જાન્યુઆરીના રોજ વંદે ભારત એક્સપ્રેસ (ગાડી નં. 22962) પર પથ્થરમારાની ઘટના બની હતી. ઉદવાડા અને વાપી રેલવે સ્ટેશન વચ્ચે બનેલી આ ઘટનામાં ટ્રેનના C/11 કોચનો કાચ તૂટી ગયો હતો. રેલવે સુરક્ષા બળ (RPF) દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. મુંબઈ સેન્ટ્રલના સિનિયર ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર સંતોષ કુમાર સિંહ રાઠોરના માર્ગદર્શન હેઠળ એક વિશેષ ટીમની રચના કરવામાં આવી હતી. RPF વાપીના ઇન્સ્પેક્ટર આશિષ તિવારી અને તેમની ટીમે 'ઓપરેશન સંરક્ષા' હેઠળ તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન, અમદાવાદ ડિવિઝન પાસેથી ટ્રેનના એન્જિન અને કોચના CCTV ફૂટેજ મેળવવામાં આવ્યા હતા. આ ફૂટેજમાં કિમી 177/07 નજીક બે શંકાસ્પદ વ્યક્તિઓ ટ્રેન પર પથ્થરમારો કરતા જોવા મળ્યા હતા. CCTV ફૂટેજ અને બાતમીદારોની મદદથી આરોપીઓને ટ્રેક કરવામાં આવ્યા હતા. RPF દ્વારા વાપી, મોરાઈ ફાટક નિવાસી 20 વર્ષીય સતેન્દ્ર કુમાર ઉર્ફે છોટુની ધરપકડ કરવામાં આવી. પૂછપરછમાં સતેન્દ્રએ વંદે ભારત ટ્રેન પર પથ્થર ફેંક્યાની કબૂલાત કરી. તેની સાથે હાજર અન્ય એક વ્યક્તિ શ્રીપાલ શિવનરેશ સામે પણ રેલવે એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે. મુખ્ય આરોપી સતેન્દ્રને સુરત રેલવે કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાંથી કોર્ટે તેને નવસારી સબ જેલમાં મોકલી આપવાનો આદેશ આપ્યો છે.
ગોધરામાં યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું:પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
ગોધરા શહેરના કનેલાવની મુવાડી ખાતે એક યુવાને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. આ ઘટના બાદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વાવડી બુઝર્ગના કનેલાવની મુવાડીમાં રહેતા 35 વર્ષીય શૈલેષ સામંતસિંહ પરમારે ગત 28 જાન્યુઆરીની રાત્રિના અરસામાં પોતાના જ ઘરમાં સાડી વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આત્મહત્યા પાછળનું કારણ અગમ્ય છે. મૃતકના કાકાના દીકરા અલ્પેશકુમાર બળવંતસિંહ પરમારે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસમથકે આ અંગે અકસ્માતે મોતની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીની લીલપર ચોકડી પાસે ઇનોવા કારમાં આગ:સદનસીબે કોઈ જાનહાનિ નહીં, ફાયર ટીમ રવાના
મોરબીની લીલપર ચોકડી નજીક મોડી સાંજે એક ઇનોવા કારમાં આગ લાગી હતી. સદનસીબે, કારમાં સવાર વ્યક્તિ સમયસર બહાર નીકળી જતાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પ્રાથમિક માહિતી અનુસાર, કાર લીલપર ચોકડી પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે એન્જિનના ભાગમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. જોતજોતામાં આગે આખી ગાડીને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. આ ઘટનાની જાણ તાત્કાલિક મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચવા રવાના થઈ હતી અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ, આગ લાગેલ કારનો નંબર GJ 36 L 9106 છે. જોકે, આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.

26 C