રાજકોટ મનપામાં ભાજપ શાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. પ્રજાએ જેના પર ભરોસો મૂકીને 68 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી આપી હતી, તેવા ભાજપના અનેક નગરસેવકો જનરલ બોર્ડમાં પ્રજાનો અવાજ બનવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે. ભાજપના 8 કોર્પોરેટરોએ એક પણ પ્રશ્ન પૂછ્યા નહીંસપ્ટેમ્બર 2023થી જાન્યુઆરી 2026 સુધીના અઢી વર્ષના સમયગાળામાં મળેલી 15 સામાન્ય સભાઓમાં ભાજપના 8 કોર્પોરેટરોએ એક પણ પ્રશ્ન પૂછવાની તસ્દી લીધી નથી. આ આઠ સભ્યોમાં બે મહિલા ધારાસભ્ય કમ કોર્પોરેટરો અને મેયર-ડેપ્યુટી મેયર જેવા ઉચ્ચ પદાધિકારીઓનો પણ સમાવેશ થાય છે. જ્યારે બીજી તરફ વિપક્ષ કોંગ્રેસના માત્ર 4 સભ્યોએ આ દરમિયાન કુલ 113 પ્રશ્નો પૂછીને સભા ગજવી હતી. શાસક પક્ષને પ્રજાકીય સમસ્યાઓ રજૂ કરવામાં શું રસ નથી?રાજકોટ મહાનગરપાલિકામાં 12 માર્ચ 2021ના રોજ ભાજપે સત્તા સંભાળી હતી. બીજી ટર્મના અઢી વર્ષના ગાળામાં, એટલે કે 20 સપ્ટેમ્બર 2023ની પ્રથમ બેઠકથી લઈને 20 જાન્યુઆરી 2026ની અંતિમ બેઠક સુધીના રિપોર્ટ કાર્ડ મુજબ, શાસક પક્ષના અનેક નેતા પ્રજાકીય સમસ્યાઓ રજૂ કરવામાં નીરસ સાબિત થયા છે. લોક સમસ્યા મુદ્દે 8 કોર્પોરેટરોએ મૌન સેવ્યું મળતી માહિતી મુજબ, વોર્ડ નંબર 1, 2, 3, 4, 11, 14 અને 18ના મળીને કુલ 8 કોર્પોરેટરો એવા છે જેમના ખાતામાં પ્રશ્નોની સંખ્યા શૂન્ય છે. જોકે, પરંપરા મુજબ મેયર, ડેપ્યુટી મેયર કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા હોદ્દેદારો પ્રશ્નો પૂછતા નથી, પરંતુ નિયમ મુજબ તેઓ પ્રશ્ન પૂછી શકે છે. આ પરંપરાનો ભંગ કરીને સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે 2 પ્રશ્નો પૂછ્યા છે, પરંતુ અન્ય પદાધિકારીઓએ મૌન સેવ્યું છે. પદાધિકારીઓ અને ધારાસભ્યોની કામગીરી પર સવાલજે નગરસેવકોએ એક પણ પ્રશ્ન પૂછ્યો નથી તેમાં મોટા ગજાના નેતાઓ સામેલ છે. વોર્ડ નંબર 1ના કોર્પોરેટર અને ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, વોર્ડ નંબર 2ના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ અને શાસક પક્ષના દંડક મનીષ રાડિયાએ અઢી વર્ષમાં કોઈ પ્રશ્ન કર્યો નથી. તેવી જ રીતે વોર્ડ નંબર 3ના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, વોર્ડ નંબર 4ના મેયર નયનાબેન પેઢડિયા અને વોર્ડ નંબર 11ના શાસક પક્ષના નેતા લીલુબેન જાદવે પણ પ્રશ્નોત્તરીમાં ભાગ લીધો નથી. આ ઉપરાંત વોર્ડ નંબર 14ના ભારતીબેન મકવાણા અને વોર્ડ નંબર 18ના સંદીપ ગાજીપરાએ પણ આખા અઢી વર્ષ દરમિયાન મૌન રહેવાનું પસંદ કર્યું છે. જાણો કોને કેટલા પ્રશ્રો પૂછ્યાંશાસક પક્ષના અન્ય સભ્યોની વાત કરીએ તો, વોર્ડ નંબર 1માં ડો. અલ્પેશ મોરજરીયાએ 11 અને હિરેન ખીમાણીયાએ 10 પ્રશ્નો પૂછ્યા છે. વોર્ડ નંબર 5માં દિલીપ લુણાગરીયા, રસિલાબેન સાકરીયા અને વોર્ડ નંબર 6માં પરેશ પીપળીયાએ 11-11 પ્રશ્નો પૂછીને પોતાની હાજરી પુરાવી છે. વોર્ડ નંબર 12ના પૂર્વ મેયર ડો. પ્રદીપ ડવે માત્ર 2 પ્રશ્નો પૂછ્યા છે, જ્યારે વોર્ડ નંબર 16ના કંચનબેન સિદ્ધપુરાએ 11 પ્રશ્નો રજૂ કર્યા છે. ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા અને અપક્ષ તરીકે બેસતા વજીબેન ગોલતરે 2 અને દેવુબેન જાદવે 1 પ્રશ્ન પૂછ્યો છે. વિપક્ષના 4 સભ્યએ 113 પ્રશ્નોથી જનરલ બોર્ડ ગજવ્યુંએકબાજુ ભાજપના 68 સભ્યો પ્રશ્નો પૂછવામાં આળસ બતાવી રહ્યા છે, ત્યારે વોર્ડ નંબર 15ના કોંગ્રેસના માત્ર 4 કોર્પોરેટરોએ આક્રમક ભૂમિકા ભજવી છે. અઢી વર્ષમાં સૌથી વધુ પ્રશ્નો પૂછવામાં વિપક્ષી સભ્યો મોખરે રહ્યા છે. જેમાં ભાનુબેન સોરાણીએ કુલ 33 પ્રશ્નો, વશરામભાઈ સાગઠીયાએ 30 પ્રશ્નો, કોમલબેન ભારાઈએ 26 પ્રશ્નો તેમજ મકબુલ દાઉદાણીએ 24 પ્રશ્નો પૂછ્યા હતા. આ 4 સભ્યોએ મળીને કુલ 113 પ્રશ્નો પૂછ્યા છે, જે દર્શાવે છે કે સંખ્યાબળ ઓછું હોવા છતાં વિપક્ષે લોકશાહીમાં પ્રશ્નોત્તરીની ગરિમા જાળવી રાખી છે. વોર્ડ મુજબ પૂછાયેલા કુલ પ્રશ્નોની વિગત વોર્ડ નંબર પ્રશ્નોની સંખ્યા વોર્ડ નંબર પ્રશ્નોની સંખ્યા વોર્ડ-01 24 વોર્ડ-10 28વોર્ડ 02 07 વોર્ડ 11 24 વોર્ડ 03 12 વોર્ડ 12 20વોર્ડ 04 15 વોર્ડ 13 25વોર્ડ 05 33 વોર્ડ 14 20વોર્ડ 06 25 વોર્ડ 15 113વોર્ડ 07 24 વોર્ડ 16 26વોર્ડ 08 21 વોર્ડ 17 15વોર્ડ 09 20 વોર્ડ 18 15 કુલ પ્રશ્નો: 471 પ્રશ્નો પૂછવાની પદ્ધતિમાં આવેલો બદલાવઉલ્લેખનીય છે કે મનપાના સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉના સમયમાં નગરસેવકો પોતાના હસ્તાક્ષરમાં જાતે પ્રશ્નો તૈયાર કરીને આપતા હતા. પરંતુ હાલમાં ટેકનોલોજીના યુગમાં કમ્પ્યુટર અને મોબાઈલનો ઉપયોગ વધ્યો છે. જોકે, ચોંકાવનારો ઘટસ્ફોટ એ પણ થયો છે કે કેટલાક કોર્પોરેટરો હવે પોતે પ્રશ્નો તૈયાર કરવાને બદલે અધિકારીઓને આ જવાબદારી સોંપી દે છે. વિપક્ષે સ્વહસ્તાક્ષરમાં પ્રશ્નો રજૂ કરવાની પરંપરા જાળવી વિપક્ષના કેટલાક સભ્યો આજે પણ સ્વહસ્તાક્ષરમાં પ્રશ્નો રજૂ કરવાની પરંપરા જાળવી રહ્યા છે. શાસક પક્ષના સભ્યો દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નો પણ મોટાભાગે 'સરકારી ખાતા' જેવા એટલે કે માત્ર માહિતી માંગતા હોય તેવા હોય છે, જ્યારે પ્રજાની વાસ્તવિક સમસ્યાઓ બાબતે ધારદાર રજૂઆતોનો અભાવ જોવા મળી રહ્યો છે.
મહેસાણા શહેરના રાધનપુર રોડ પર 'સ્વસ્થ પરિવાર-સુરક્ષિત સમાજ'ના સંકલ્પ સાથે શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા આયુષ્માન કાર્ડ વિતરણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત 2000થી વધુ લાભાર્થીઓને વિનામૂલ્યે આયુષ્માન કાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. 20થી 25 ફેબ્રુઆરી દરમિયાન 6 દિવસના વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુંશારદા શક્તિ ફાઉન્ડેશનના પ્રમુખ લાલભાઈ શક્તિ અને તેમની ટીમ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને સરકારની આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. પાંચોટ બાયપાસ પાસે આવેલા ફાઉન્ડેશનના કાર્યાલય ખાતે ગત 20થી 25 ફેબ્રુઆરી દરમિયાન 6 દિવસના વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં નોંધણી કરાયેલા લાભાર્થીઓને રવિવારે સન્માનપૂર્વક કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે 25,403 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છેઆ સેવાકીય પ્રકલ્પ અંતર્ગત ફાઉન્ડેશન દ્વારા કુલ 1400થી વધુ નવા આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે. જ્યારે 700થી વધુ જૂના કાર્ડને રિન્યુ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે 25,403 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે ત્યારે આવી સંસ્થાઓના માધ્યમથી સરકારી યોજનાઓનો સીધો લાભ સામાન્ય જનતા સુધી પહોંચે તે પ્રશંસનીય બાબત છે. સમગ્ર કેમ્પ દરમિયાન કોઈપણ પ્રકારની ફી લીધા વિના પારદર્શક રીતે કામગીરી કરવામાં આવી હતી, જે બદલ સ્થાનિક રહીશોએ ફાઉન્ડેશનનો આભાર માન્યો હતો. આ પ્રસંગે સંસ્થાના હોદ્દેદારો અને સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ સ્થિત પદ્મનાભ મંદિર ટ્રસ્ટના સહયોગથી PPL ગ્રુપ દ્વારા આયોજિત પ્રજાપતિ પ્રીમિયર લીગ (PPL) ની ફાઈનલ મેચ રવિવારે રસાકસીભર્યા માહોલમાં રમાઈ હતી. પદ્મનાભ ભગવાનના હારિયા મેદાન ખાતે રમાયેલી આ નિર્ણાયક મેચમાં જેનિસ ઈલેવનની ટીમે શાનદાર પ્રદર્શન કરી લાડુ ઈલેવનને પરાજય આપી ચેમ્પિયનશીપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ફાઈનલ મેચમાં જેનિસ ઈલેવનના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો આક્રમક નિર્ણય લીધો હતો. નિર્ધારિત 12 ઓવરમાં ટીમે મજબૂત બેટિંગના જોરે પ્રતિસ્પર્ધી લાડુ ઈલેવન સામે 108 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. આ રનનો પીછો કરવા ઉતરેલી લાડુ ઈલેવનની ટીમ જેનિસ ઈલેવનની ચોકસાઈભરી બોલિંગ સામે ટકી શકી નહોતી અને 12 ઓવરમાં માત્ર 75 રન જ બનાવી શકી હતી. આમ, જેનિસ ઈલેવને 33 રનથી ભવ્ય વિજય મેળવ્યો હતો. મેચના સમાપન સમારોહમાં પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામી અને વિશ્વાસ હોસ્પિટલના ડૉ. સૌરભસિંહ ઠાકુર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિજેતા બનેલી જેનિસ ઈલેવન ટીમને ઝળહળતી ચેમ્પિયન ટ્રોફી અને 21,000 રૂપિયાનું રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું હતું. રનર્સઅપ રહેલી લાડુ ઈલેવન ટીમને પણ રનર્સ ટ્રોફી અને 11,000 રૂપિયાનું રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે PPL ગ્રુપના પ્રમુખ, મંત્રી અને ખજાનચી સહિતના સભ્યોએ દિવસ-રાત જહેમત ઉઠાવી હતી. રમતગમત દ્વારા સમાજમાં એકતા વધે તેવા ઉમદા હેતુ સાથે આ આયોજન કરવામાં આવ્યું હતું.
GMERS સોલામાં બે દિવસીય યોગ શિબિર યોજાઈ:વિદ્યાર્થીઓ અને સ્ટાફને યોગ દ્વારા સ્વાસ્થ્ય લાભ અપાયા
GMERS મેડિકલ કોલેજ, સોલા ખાતે 27 અને 28 ફેબ્રુઆરીના રોજ બે દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં મેડિકલ, ઇન્ટર્ન, BASLP અને નર્સિંગના વિદ્યાર્થીઓ તેમજ કોલેજ અને હોસ્પિટલના સ્ટાફ તથા ફેકલ્ટી સભ્યોએ ભાગ લીધો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ અલ્પેશભાઈ પટેલ દ્વારા શિબિરાર્થીઓને શારીરિક સૂક્ષ્મ ક્રિયાઓ, વિવિધ યોગાસનો, યોગિક જોગિંગ, સૂર્યનમસ્કાર અને પ્રાણાયામનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. તેમણે યોગાભ્યાસની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને શરીર પર થતા તેના સકારાત્મક પ્રભાવો વિશે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક સમજૂતી આપી હતી. શિબિર દરમિયાન સ્થૂળ શરીરને સક્રિય કરીને પ્રાણાયામ દ્વારા સૂક્ષ્મ શરીરને જાગૃત કરવાની પદ્ધતિઓ શીખવવામાં આવી હતી. આ ઉપરાંત, યોગનો ઇતિહાસ અને તેના આરોગ્યલક્ષી લાભો વિશે પણ વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. આશરે 200 જેટલા વિદ્યાર્થીઓ, ફેકલ્ટી સભ્યો અને સ્ટાફે યોગ અને પ્રાણાયામનો લાભ લીધો હતો. GMERS કોલેજ અને ફિઝિયોલોજી વિભાગ દ્વારા દર વર્ષે બે દિવસીય યોગ વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. કોલેજ દર વર્ષે 21 જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પણ એક સપ્તાહ સુધી ઉજવણી કરે છે. ફિઝિયોલોજી વિભાગના વડા ડો.લતાબેન ગુપ્તા યોગ અભ્યાસમાં ઊંડો રસ ધરાવે છે. તેઓ વિદ્યાર્થીઓ, સ્ટાફ અને ફેકલ્ટી સ્વસ્થ તથા નિરોગી રહે તે હેતુથી નિયમિતપણે યોગ વર્કશોપનું આયોજન કરતા રહે છે. આ વર્ષે પણ 21 જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વિશેષ કાર્યક્રમો સાથે કરવામાં આવશે.
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વચ્ચેના યુદ્ધની સીધી અસર હવે સુરતના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન ટેક્સટાઇલ, હીરા અને જ્વેલરી ઉદ્યોગ પર પડવાની ભીતિ સેવાઈ રહી છે. એક તરફ કેન્દ્ર સરકાર દ્વારા ડાયમંડ જ્વેલરી પર ટેરિફમાં રાહત મળતા વેપારીઓમાં નવી આશા જન્મી હતી, પરંતુ યુદ્ધના ભણકારાએ આ આશા પર પાણી ફેરવી દીધું છે. આમ આ યુદ્ધ હવે સુરતના અર્થતંત્રને વેરવિખેર કરી નાંખે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એરપોર્ટ પર કરોડો રૂપિયાનો તૈયાર માલ અટવાયોભારતમાંથી જેમ્સ એન્ડ જ્વેલરીનું વિશ્વમાં 100% એક્સપોર્ટ કરવામાં આવે છે. હાલમાં યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં સુરક્ષાના કારણોસર એર કાર્ગો ફ્લાઈટ્સ રદ કરી દેવામાં આવી છે. ટ્રાન્સપોર્ટ સુવિધા ઠપ થઈ જવાથી તૈયાર માલ વિદેશ મોકલી શકાતો નથી, જેના કારણે સુરત અને મુંબઈના બંદરો અને એરપોર્ટ પર કરોડો રૂપિયાનો તૈયાર માલ અટવાઈ પડ્યો છે. વેપારીઓને ડર છે કે જો આ સ્થિતિ લાંબો સમય ચાલશે તો પેમેન્ટ ફસાઈ જવાની મોટી સમસ્યા ઊભી થઈ શકે છે. ભારતની કુલ જ્વેલરી નિકાસમાંથી એકલા અમેરિકામાં 35% માલ મોકલવામાં આવે છે. અમેરિકા તરફથી આવતા ઓર્ડરમાં મોટો ઘટાડો થવાની ભીતિ સેવાઈ રહી છે. તાજેતરમાં જ ડાયમંડ જ્વેલરી પર ટેરિફ ઝીરો કરવામાં આવ્યો હતો, પરંતુ બજારમાં માંગ જ ન હોવાથી આ શૂન્ય ટકા ટેરિફનો લાભ લેવા માટે કોઈ લેવાલ નથી. 'રત્ન કલાકારોને છૂટા કરવાની નોબત આવી શકે'હીરાની નિકાસ અટકી પડતા હીરાના કારખાનાઓમાં કામ ઓછું થશે. તેમજ ઓર્ડર રદ થવાથી પેમેન્ટ અટકવાને કારણે રત્ન કલાકારોના વેતનમાં કાપ અથવા છૂટા કરવાની નોબત આવી શકે છે. 'બુરખાનું કાપડ અને સલવાર કમીઝની નિકાસને અસર'આ ઉપરાંત કાપડ ઉદ્યોગની પણ સ્થિતિ ચિંતાજનક બની ગઈ છે. સુરતનો કાપડ વેપાર મુખ્યત્વે દુબઈ મારફતે સંયુક્ત આરબ અમીરાત (UAE)ના અંદાજે 45 જેટલા દેશો સાથે જોડાયેલો છે. જો અખાતી દેશોમાં અસ્થિરતા આવે, તો આ આખી સપ્લાય ચેઈન ખોરવાઈ શકે છે. સુરતથી મોટા પાયે મેન-મેડ ફાઈબર (MMF), બુર્ખાનું કાપડ અને સલવાર કમીઝ જેવી પ્રોડક્ટ્સની નિકાસ આ દેશોમાં કરવામાં આવે છે. યુદ્ધની સ્થિતિમાં નૂર(માલસમાનની હેરફેર માટે ચૂકવાતો ચાર્જ) ભાડામાં વધારો અને શિપિંગમાં અવરોધ આવતા નિકાસ ઠપ્પ થઈ શકે છે. 'યુદ્ધને કારણે પેમેન્ટ અટવાઈ જવાની કે મોડું થવાની શક્યતા'સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના ઉપપ્રમુખ અશોક જીરાવાલાના જણાવ્યા અનુસાર, હાલની સ્થિતિમાં કોઈ ચોક્કસ આંકડાકીય અંદાજ બાંધવો મુશ્કેલ છે, પરંતુ ઉદ્યોગ જગતમાં ફફડાટ વ્યાપી ગયો છે. યુદ્ધને કારણે પેમેન્ટ અટવાઈ જવાની કે મોડું થવાની શક્યતા છે. વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે વિદેશી ખરીદદારો નવા ઓર્ડર આપતા ખચકાઈ રહ્યા છે. સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ જે પહેલાથી જ વિવિધ પડકારોનો સામનો કરી રહ્યો છે, તેના માટે ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ 'દુકાળમાં અધિક માસ' જેવી સ્થિતિ સર્જી શકે તેમ છે. જો સ્થિતિ વહેલી તકે થાળે નહીં પડે, તો હજારો શ્રમિકો અને વેપારીઓની રોજીરોટી પર તેની અસર પડશે. 'યુદ્ધની જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર પર અસર જોવા મળશે'ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ નૈનેષ પચ્ચીગરે જણાવ્યું હતું કે ઈરાન, ઈઝરાયલ, યુ.એસ. અને બીજા સંલગ્ન 10 દેશો સાથે જે યુદ્ધના સમાચાર આવ્યા છે, તેનાથી જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં એની સીધી અસર જોવા મળશે. કારણ કે હાલમાં જ આપણા ટેરિફ ઓછો થયો અને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને જે રાહત મળી હતી, તેનાથી આશા બંધાઈ હતી કે હવે અમારું એક્સપોર્ટ પહેલાની જેમ ફુલફિલ થશે અને ઘણા વર્ષોથી મંદીના માહોલમાં રહેલી ડાયમંડ ઇન્ડસ્ટ્રીને રાહત મળી હતી. જેને પગલે નાના રત્નકલાકારોને પણ રોજીરોટી મળવાની સંભાવના હતી. હવે એવું લાગી રહ્યું છે કે યુદ્ધની અસરો અમારી જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર પર જોવા મળશે. શાંતિનો માહોલ બને તો જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનો એક્સપોર્ટ ફરીથી ધમધમવા લાગશે એવી આશા છે. 'ઇરાન અને ગલ્ફ કંટ્રીમાં 8થી 10 ટકા હીરાની નિકાસ'ઈરાન અને એમાં અત્યારે આપણી જે મેઈન ડાયમંડ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી, જેમ્સ એન્ડ જ્વેલરીનું એક્સપોર્ટ લગભગ આ 8 થી 10 ટકા જેવું થઈ રહ્યું છે. જે મેઈન ડાયમંડ, આપણે ડાયમંડના હબ તરીકે આજે સુરત વખણાય છે અને 10 માંથી 9 ડાયમંડ સુરતમાં બની રહ્યા છે અને તેનું ટોટલી આપણે મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ ઓલ ઓવર વર્લ્ડમાં આપણે થઈ રહ્યું છે, અને 8થી 10 ટકાનો હિસ્સો તો ઈરાન અને બીજી બધી ગલ્ફ કન્ટ્રીઓમાં થઈ રહ્યો છે. ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટુટેડ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, 24 કલાક પહેલા ઇઝરાયલ અને અમેરિકાના સંયુક્ત ઓપરેશનના માધ્યમથી ઇરાન ઉપર જે એટેક કરવામાં આવ્યો, એને કારણે વર્લ્ડવાઈડ એની ઇમ્પેક્ટ ખૂબ નેગેટિવ અત્યારે ઉભી થઈ છે. ઇરાને પણ વળતા હુમલાની અંદર ખાસ કરીને આરબ અમીરાતની જે નાની-નાની કન્ટ્રીઓ છે, એની ઉપર પણ ડ્રોન મારફતે અમેરિકન બેઝ જ્યાં છે એની ઉપર એટેક કર્યા. આ એટેકના કારણે દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પણ ડ્રોન દ્વારા એટેક થવાના કારણે ત્યાં અત્યારે એરપોર્ટ તાત્કાલિક બંધ કરવામાં આવ્યું છે. '60થી 65 ટકા રફ ટ્રેડિંગના ટેન્ડરિંગો દુબઈમાં થાય છે'આ એરપોર્ટ બંધ થવાના કારણે ખાસ કરીને ભારતના રફ ટ્રેડિંગ બિઝનેસ સાથે દુબઈનો ખૂબ મોટો નાતો છે. આજની તારીખમાં 60થી 65 ટકા રફ ટ્રેડિંગના ટેન્ડરિંગો દુબઈની અંદર થતા હોય છે. લોકોને આવવા-જવાની સરળતાના કારણે જ્યારે પણ ટેન્ડરનો ટાઈમ મળે એ દિવસે જ આ લોકો અહીંથી નીકળતા હોય છે કે જેથી કરીને ટાઈમ ન બગડે. આવા ઘણા લોકોનું ટેન્ડર સિસ્ટમમાં જે કંઈ એપોઇન્ટમેન્ટ લીધી હશે, એ ઇન્ડિયન એરવેઝની અને ઇન્ડિગોની ફ્લાઇટ રદ થતા એ લોકો ટાઈમે ત્યાં પહોંચી નહીં શકે. એપોઇન્ટમેન્ટ જે લીધી છે એ ટાઈમે ત્યાં નહીં જતાં એમને ફરી એપોઇન્ટમેન્ટ લેવી પડશે. આના કારણે રફ સપ્લાયની ચેઇનમાં થોડી મુશ્કેલી ચોક્કસ ઉભી થશે. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર હુમલા થયા અને ઈરાને વળતા હુમલા કર્યા. એક તરફ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનું યુદ્ધ ચાલી રહ્યું છે, રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે. આખા વિશ્વની અંદર જબરદસ્ત અશાંતિનો માહોલ છે. સોમવારે બજાર ખુલતાની સાથે જ એ ધરાશાયી થશે. વૈશ્વિક સ્ટોક બજાર પણ આજે ડિસ્ટર્બ થશે. પરંતુ સ્ટોક માર્કેટ આવા આંચકાઓથી ટેવાયેલી છે. 'કાપડ ઉદ્યોગ માટે આ મરણતોલ ફટકો હશે'તેઓ આગળ કહે છે કે, જે મૂળ ઉદ્યોગ છે, કે જેમાં ઉદ્યોગની ઘણી બધી ટકાવારીનો આધાર નિકાસ ઉપર હોય. જેમ-તેમ સેટલ થતું હતું. અમેરિકાનો ટેરિફ, અને આ વધારાની વિપરીત પરિસ્થિતિનો સામનો અત્યારે આપણે કરી રહ્યા છીએ. હું માનું છું કે કાપડ ઉદ્યોગ માટે આ મરણતોલ ફટકો હશે. ડાયમંડ ઉદ્યોગ તો પણ બચી જશે, એટલા માટે કારણ કે ડાયમંડ ઉદ્યોગ સીધો અમેરિકા સાથે વધારે વેપાર કરે છે. અને અમેરિકા સાથેની પરિસ્થિતિ એકંદરે શાંત છે, પણ અમેરિકા જ્યારે યુદ્ધની અંદર ફસાઈ ગયું હોય તેવા સંજોગોમાં સમય વર્તે સાવધાનીની નીતિ સૌથી બધા જ અપનાવશે. ફેડરેશન ઓફ ગુજરાત વીવર એસોસિએશનનો પ્રમુખ અને ચેમ્બર ઓફ કોમર્સનો વાઈસ પ્રેસિડેન્ટ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, જે રીતે યુદ્ધની પરિસ્થિતિ આખા વિશ્વમાં બની રહી છે. જેની સીધી અસર સુરત શહેરને થવાની છે. કારણ કે ટેક્સટાઈલ ઉદ્યોગનું હબ કહેવાય, સેકન્ડ લાર્જેસ્ટ પ્રોડક્શન કોઈ કરતું હોય તો ચાઈના પછી આખા વિશ્વમાં સુરત કરી રહ્યું છે. ‘યુદ્ધ લાંબું ચાલે તો ટેક્સટાઈલ અને સુરતની ઇન્ડસ્ટ્રીઝને મોટું નુકસાન થશે’જો યુદ્ધ લાંબું ચાલે, તો ખાસ કરીને અમારું મેઈન એપીસેન્ટર છે જ્યાંથી અમે 45 ગલ્ફ કન્ટ્રીની અંદર વેપાર કરીએ છીએ, એ છે દુબઈ. ઇરાને દુબઈ પર હુમલો કર્યો છે, ત્યારે અત્યારે એવું માની શકાય કે જો આ યુદ્ધ લાંબું ચાલે તો ટેક્સટાઈલને, સુરતની ઇન્ડસ્ટ્રીઝને મોટું એવું નુકસાન થશે. કારણ કે અમારું જે મેન-મેઇડ ફાઈબર છે - બુરખા અને સલવાર કમીઝનું ટોટલ કપડું ગલ્ફ કન્ટ્રીમાં, યુએસ પછી અમે મોટું જો એક્સપોર્ટ કરતા હોઈએ તો દુબઈથી અને દુબઈ વાયા 45 દેશોની અંદર કરતા હોઈએ. તો અત્યારે એવું લાગી રહ્યું છે કે જો યુદ્ધ લાંબું ચાલે તો નુકસાન મોટું થવાનું છે. અને યુદ્ધ જો અત્યારે... મને એવું લાગે છે કે જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ... જે રીતે ખામૈનીને જે રીતે ખતમ કરી નાખ્યા છે, પછી એની દુશ્મનાવટ મારા ખ્યાલથી ખતમ થઈ ગઈ છે, પણ જો આ યુદ્ધ લાંબું ચાલે તો ટેક્સટાઈલ ઉદ્યોગને ખાસું એવું નુકસાન થશે એવી સંભાવના મને દેખાઈ રહી છે. મેન-મેઇડ ફાઈબરનું આપણું સારું એવું માર્કેટ યુએસ પછીનું દુબઈ છે. કારણ કે આપણે જ્યારે ગાર્મેન્ટનું માર્કેટ યુએસ છે, તો મેન-મેઇડ ફાઈબરનું માર્કેટ આપણું દુબઈથી વાયા 45 ગલ્ફ કન્ટ્રીની અંદર આપણે મોકલી રહ્યા છીએ. એટલે કરોડોનો કાપડનો વેપાર આપણો એમની સાથે છે. ‘નુકસાનનો આંકડો બહુ મોટો થઈ શકે’તો નુકસાનનો આંકડો બહુ મોટો થાય એવું કહી શકું કારણ કે જે MEG-PTA છે જે ક્રૂડમાંથી બનતી પ્રોડક્ટ છે, એ યાર્ન છે. યાર્ન એટલે મેન-મેઇડ ફાઈબર. જો એ પણ મોંઘું થશે, એક બાજુ યુદ્ધ પણ લાંબું ચાલશે, તો મોટી કમરતોડ ફટકો સુરત શહેરની ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીઝને લાગશે એવું કહું તો ખોટું નથી.
વડોદરા શહેરની આદિકુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા આજે વાર્ષિક આરોગ્ય જાગૃતિ પહેલનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જાણીતા ફૂડફાર્મર રેવંત હિમાત્સિન્કા હાજર રહ્યા હતા અને હેલ્થ અવરનેશ વિશે માહિતી આપી હતી. જેમાં નાગરિકો, આરોગ્યસંભાળ વ્યાવસાયિકો અને સ્વસ્થ સમુદાયના નિર્માણ માટે પ્રતિબદ્ધ સુખાકારી હિમાયતીઓની ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ફૂડફાર્મર રેવંત હિમાત્સિન્કાએ જણાવ્યું હતું કે, આ ખરેખર ખૂબ જ પ્રશંસનીય પગલું છે. આદિક્યુરા હોસ્પિટલે જે આ 'પહેલ' ઇનિશિયેટિવ લીધો છે તે અદભૂત છે. મને લાગે છે કે માત્ર આદિક્યુરા જ નહીં, પણ દેશની દરેક હોસ્પિટલે આ પ્રકારના પ્રયાસો કરવા જોઈએ. હું આદિક્યુરાનો આભાર માનું છું કે તેમણે આ કાર્યક્રમનું આયોજન કર્યું. ભારતમાં અત્યારે સ્વાસ્થ્યને લઈને એક મોટું સંકટ ચાલી રહ્યું છે, જેના વિશે બહુ ઓછા લોકો વાત કરે છે. આદિક્યુરા જેવી હોસ્પિટલ જ્યારે આ મુદ્દાઓને આગળ લાવે છે, ત્યારે સમાજમાં એક જાગૃતિ ફેલાય છે. સામાન્ય રીતે હોસ્પિટલો આવા સામાજિક જાગૃતિના કાર્યક્રમો નથી કરતી હોતી, પણ આદિક્યુરાએ આ કરી બતાવ્યું છે જે ખૂબ મોટી વાત છે. તેઓએ વધુમાં કહ્યું કે, જો આપણે આંકડા જોઈએ તો 30-40 વર્ષથી ઉપરની અડધી વસ્તી ડાયાબિટીસ અથવા પ્રી-ડાયાબિટીસની ઝપેટમાં છે અને ઘણાને તો એ પણ ખબર નથી કે, તેમને આ બીમારી છે કારણ કે તેમણે ક્યારેય ચેકઅપ કરાવ્યું નથી. કેન્સર અને અન્ય ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. આપણું ખાનપાન પણ બદલાયું છે. પેકેજ્ડ ફૂડનો વપરાશ વધી રહ્યો છે. વાલીઓ બાળકોના ટિફિનમાં પણ મેગી જેવી વસ્તુઓ આપે છે. છેલ્લા 20-30 વર્ષોમાં આપણી હેલ્થ સુધરવાને બદલે બગડતી જઈ રહી છે. તેઓએ કહ્યું કે, જો આપણે સ્વાસ્થ્ય સુધારવું હોય તો ઘણા ફેરફારો કરવા પડશે. આપણે પેકેજ્ડ ફૂડનો ઉપયોગ જેટલો બને એટલો ઓછો કરવો જોઈએ. જો આપણે પેકેજ્ડ વસ્તુ ખાઈએ તો તેના લેબલ પર લખેલી વિગતો વાંચવાની ટેવ પાડવી જોઈએ. અત્યારે મોટાભાગની નોકરીઓ 'સીટીંગ જોબ' છે. લોકો આખો દિવસ લેપટોપ સામે બેસી રહે છે, જેના કારણે ડોક અને કમરના દુખાવા વધે છે. આપણે દરરોજ ઓછામાં ઓછા 8થી 10 હજાર ડગલાં ચાલવું જોઈએ. આ ઉપરાંત હવાના પ્રદૂષણની પણ મોટી સમસ્યા છે, જેનો હાલમાં એર પ્યુરિફાયર સિવાય કોઈ ખાસ ઉકેલ નથી.અંતે, જો આપણે ભારતને 'સુપરપાવર' બનાવવું હોય, તો તે ત્યારે જ શક્ય છે જ્યારે દેશનો દરેક નાગરિક સ્વસ્થ હોય. આપણે આપણા સ્વાસ્થ્યને ગંભીરતાથી લેવાની જરૂર છે. સીનિયર વાસ્ક્યુલર સર્જન ડૉ. વિજય ઠાકોરે જણાવ્યું હતું કે, આદિકુરા હોસ્પિટલ તરફથી 'પહલ' નામની એક વિશેષ પહેલ શરૂ કરવામાં આવી છે. સામાન્ય રીતે દરેક હોસ્પિટલનું કામ બીમાર દર્દીઓની સારવાર કરવાનું હોય છે, જે અમે કરીએ જ છીએ. પરંતુ, લોકો બીમાર જ ન પડે અને તેમને હોસ્પિટલ આવવાની જરૂર જ ન પડે તે માટે અમે શું કરી શકીએ? આ વિચારધારાને 'પ્રિવેન્ટિવ હેલ્થ' કહેવાય છે. 'પહલ' ના માધ્યમથી અમે સમાજમાં એવી પ્રવૃત્તિઓ કરવા માંગીએ છીએ જેનાથી લોકો જાગૃત થાય, સ્વસ્થ રહે અને હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવે. તેઓએ વધુમાં જણાવ્યું કે, ઘણી બધી બીમારીઓને અમુક અંશે અટકાવી શકાય છે. જો કે બધી જ બીમારીઓને માત્ર ખોરાક કે કસરતથી રોકી શકાતી નથી, તેથી હોસ્પિટલો ક્યારેય બંધ તો નહીં થાય. પરંતુ, ઘણી એવી બીમારીઓ છે જે આપણી જીવનશૈલી સાથે જોડાયેલી છે. સ્વસ્થ રહેવા માટે મુખ્ય ત્રણ બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. પૌષ્ટિક અને સંતુલિત ખોરાક લેવો, નિયમિત શારીરિક પ્રવૃત્તિ કરવી અને પૂરતી ઊંઘ લેવી જરૂરી છે આ પહેલ વિશે બોલતા, આદિકુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ચેરમેન ડૉ. સુમિત કાપડિયાએ કહ્યું, “આદિકુરા ખાતે, અમારો પ્રયાસ અદ્યતન તબીબી સારવાર પૂરી પાડવાથી આગળ વધે છે. ‘આદિકુરા પહેલ’ જેવી પહેલ દ્વારા, અમે દરેક બરોડીયનને સક્રિયપણે સારું સ્વાસ્થ્ય અને તંદુરસ્તી લાવવાનો ધ્યેય રાખીએ છીએ. અમારું વિઝન ફક્ત બીમારીની સારવાર કરવાનું નથી પરંતુ જાગૃતિ, નિવારણ અને સ્વસ્થ જીવનશૈલી પસંદગીઓને પ્રોત્સાહન આપીને આપણા શહેરને ફિટ બનાવવા અને રાખવાનું છે.”
ગીર સોમનાથ જિલ્લા એચટાટ આચાર્ય સંઘની જનરલ બોર્ડ બેઠકમાં સંગઠનના ભવિષ્યને અસર કરતો એક મહત્વપૂર્ણ ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે. આંકોલવાડીના ભગીરથ ફાર્મ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં એચટાટ આચાર્યો હાજર રહ્યા હતા. બેઠકનો મુખ્ય એજન્ડા ગીર સોમનાથ એચટાટ શૈક્ષિક સંઘ સાથેના સંબંધો અંગેની ચર્ચા હતી. સભ્યોના મંતવ્યો અને સૂચનો બાદ, હાજર રહેલા તમામ આચાર્યોની બહુમતીથી શૈક્ષિક સંઘથી અલગ થવાનો ઠરાવ પસાર કરાયો હતો. આ નિર્ણયને સંગઠનની સ્વતંત્રતા અને એકતા જાળવવા માટેનું એક ઐતિહાસિક પગલું ગણાવવામાં આવી રહ્યું છે. ઉપસ્થિત આગેવાનોએ સ્પષ્ટ કર્યું કે ગીર સોમનાથ જિલ્લા એચટાટ સંઘ એ જિલ્લાનો માન્યતા પ્રાપ્ત અને કાયમી સંગઠિત સંઘ છે. આ સંઘ ભવિષ્યમાં પણ એચટાટ આચાર્યોના હિતો માટે મજબૂત રીતે કાર્યરત રહેશે. શૈક્ષિક સંઘથી અલગ થવાનો નિર્ણય સંગઠનની આંતરિક મજબૂતી અને એકજૂટતા વધારવા માટે લેવાયો છે. બેઠકમાં એક કડક નિર્ણય પણ લેવાયો છે કે જે કોઈ એચટાટ આચાર્ય શૈક્ષિક સંઘ સાથે જોડાશે, તેમનું ગીર સોમનાથ જિલ્લા એચટાટ સંઘમાંથી સભ્યપદ રદ કરવામાં આવશે. આ જોગવાઈ સંગઠનમાં શિસ્ત જાળવવા અને કોઈપણ પ્રકારની દ્વિધા ટાળવા માટે જાહેર કરાઈ છે. સભ્યોના મતે, આ નિર્ણય સંઘની એકતા જાળવવા, ગેરસમજો અટકાવવા અને તમામ આચાર્યોને એક મજબૂત મંચ હેઠળ સંગઠિત રાખવા માટે આવશ્યક હતો. બેઠકમાં સૌએ સંગઠન પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો અને ગીર સોમનાથ જિલ્લા એચટાટ સંઘ કાયમી રીતે સંગઠિત રહેશે તેવો દ્રઢ સંકલ્પ કર્યો. આ ઠરાવો સંઘની સ્પષ્ટ નીતિ, સંગઠનશક્તિ અને શિક્ષણક્ષેત્રે આચાર્યોના હિત પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં હિન્દુ સંમેલનોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ કડીમાં દસાડા તાલુકાના આદરીયાણા ગામે સાત ગામો વચ્ચે એક વિશાળ 'હિન્દુ સંમેલન' યોજાયું હતું. નવાગામ, રોજવા, ભલગામ, આદરીયાણા, પાડીવાડા અને સલી-ઝાડીયાણાના ગ્રામજનોએ નાત-જાતના ભેદભાવ ભૂલીને આ સંમેલનમાં એકતાના દર્શન કરાવ્યા હતા. ગોતરકા બ્રહ્મચારી આશ્રમના રાષ્ટ્રીય સંત નિજાનંદ બાપુએ આ પ્રસંગે પ્રેરક સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, વિશ્વની અનેક સંસ્કૃતિઓ સમય જતાં લુપ્ત થઈ ગઈ, પરંતુ હિન્દુ સંસ્કૃતિ આજે પણ જીવંત છે કારણ કે તે માત્ર મનુષ્યો જ નહીં, પણ મૂંગા પશુ-પક્ષીઓ અને સમગ્ર સૃષ્ટિનો વિચાર કરે છે. તેમણે ભાવુક ઉદાહરણ આપતા કહ્યું કે, જ્યારે કોઈ શ્વાન બચ્ચાને જન્મ આપે છે, ત્યારે હિન્દુ સમાજ તેને શીરો બનાવીને ખવડાવે છે, આ જ આપણી સંસ્કારિતા છે. તેમણે વાલીઓને ટકોર કરી હતી કે બાળકોને ડોક્ટર કે એન્જિનિયર બનાવતા પહેલા સાચા હિન્દુ બનાવજો. આ કાર્યક્રમની વિશેષતા એ રહી કે અહીં સમાજના સાચા સેવાભાવીઓનું સન્માન કરવામાં આવ્યું. સાત ગામોના મંદિરોના પૂજારીઓ, પ્રભાતફેરી દ્વારા જીવદયાનું કામ કરતા લોકો, કુતરાઓને લાડુ અને રોટલા ખવડાવતા સેવાભાવીઓ તેમજ ભજન અને રામામંડળ દ્વારા ધાર્મિક ભાવના જીવંત રાખતા કલાકારોને સન્માન પત્ર આપી નવાજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વક્તા તરીકે શ્રીમતી રેખાબેન ગજરે પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષમાં ઉઠાવવામાં આવેલા પાંચ મુદ્દાઓ, જેને 'પંચ પરિવર્તન' નામ આપવામાં આવ્યું છે, તેની વિગતવાર ચર્ચા કરી હતી. આ પંચ પરિવર્તનમાં સામાજિક સમરસતા (હિન્દુ સમાજમાં નાત-જાતના ભેદભાવ દૂર કરવા), કુટુંબ પ્રબોધન (હિન્દુ પરિવારોમાં પરસ્પર આદર-સન્માન અને ઘરમાં હિન્દુત્વનું પ્રગટીકરણ), પર્યાવરણ સંરક્ષણ (જલવાયુ પરિવર્તનને કારણે ઉભી થતી સમસ્યાઓ), સ્વદેશી જીવનશૈલી (સ્વનો બોધ) અને નાગરિક કર્તવ્ય જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં જાણીતા કથાકાર કમલેશભાઈ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સંયોજક હર્ષદભાઈ રથવી અને સંઘની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. અંતમાં, તમામ ભાવિકોએ નાત-જાતના ભેદભાવ વિના એકસાથે બેસીને બુંદી-ગાંઠિયાનો પ્રસાદ ગ્રહણ કરી સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
રાજ્યમાં આજથી ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. સામાન્ય રીતે એપ્રિલમાં જોવા મળતી ગરમીએ આ વર્ષે થોડી વહેલી જ દસ્તક આપી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ગરમીનો પ્રભાવ વધુ રહેવાની સંભાવના છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગર સહિતના મધ્ય ગુજરાતમાં પણ મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે. આગામી પાંચ દિવસ સુધી ઉકળાટભર્યું વાતાવરણ રહેશે અને તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. બપોરના સમયે બહાર નીકળવું મુશ્કેલરાજ્યમાં હિટવેવના દિવસોની સંખ્યા સામાન્ય કરતાં વધુ રહી શકે છે. માર્ચના પ્રથમ અઠવાડિયામાં જ ગરમીનો માહોલ ઘેરાતો હોવાથી બપોરના સમયે લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બની શકે છે. ખાસ કરીને મહાનગરોમાં સિમેન્ટ-કોંક્રીટના જંગલ અને વાહનવ્યવહારના કારણે તાપમાન વધુ અનુભવાય છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૂકું અને તડકાભર્યું હવામાન રહેતાં બપોરે તાપમાન 38થી 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થાય તો રાજ્યમાં હિટવેવની શરૂ થઈ શકે છે. ડીસામાં સૌથી વધુ તાપમાન નોંધાયુંમાર્ચની શરૂઆત સાથે જ ઉનાળાએ તીવ્ર રૂપ ધારણ કર્યું છે અને લોકો માટે આ વર્ષે ગરમી વધુ કઠિન સાબિત થવાની શક્યતા છે. માર્ચની શરૂઆતમાં જ ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 34 ડિગ્રીએ પહોંચી ગયો છે. ડીસામાં સૌથી વધુ તાપમાન 34.2 ડિગ્રી નોંધાયું છે, જેથી આ વર્ષે કાળઝાળ ગરમી રેકોર્ડ તોડે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મોટા ભાગના શહેરોમાં લોકોને આકરો તાપ સહન કરવો પડશે. આગામી પાંચ દિવસ ઉકળાટ ભર્યું વાતાવરણ રહેશેઃ હવામાન વિભાગહવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાનમાં કોઈ બદલાવ જોવા મળ્યો નથી. સૌથી વધુ તાપમાન ઉત્તર ગુજરાતમાં ડીસામાં 34.2 ડિગ્રી નોંધાયું છે. લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રી નલિયામાં નોંધાયું છે. આગામી 4 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી ફેરફાર થવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું પ્રમાણ સામાન્ય કરતાં વધુ જોવા મળશે. તેમજ આગામી પાંચ દિવસ ઉકળાટ ભર્યું વાતાવરણ રહેશે. આગામી દિવસોમાં તાપમાન 37થી 39 ડિગ્રી સુધી પહોંચવાની પૂરેપૂરી શક્યતા છે. લૂ કે હીટવેવ શું છે?જવાબ- IMD (ભારત હવામાન વિભાગ) અનુસાર, જ્યારે મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અને પહાડી વિસ્તારોમાં તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, ત્યારે ગરમ હવા ફૂંકાવા લાગે છે. જો કોઈપણ વિસ્તારમાં તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, તો તેને હીટવેવની ખતરનાક શ્રેણી માનવામાં આવે છે. હીટ સ્ટ્રોકનું કારણ શું છે?આપણા શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ છે. પરંતુ ઉનાળા દરમિયાન આસપાસના વાતાવરણનું તાપમાન 40 થી 45 ડિગ્રી સુધી પહોંચી જાય છે. આવી સ્થિતિમાં જ્યારે આપણે તીવ્ર સૂર્યપ્રકાશ અથવા ગરમ હવામાં બહાર જઈએ છીએ, ત્યારે આસપાસનું વાતાવરણ આપણા શરીરનું તાપમાન વધારી દે છે. જ્યારે આપણા શરીરનું તાપમાન સામાન્ય શરીરના તાપમાન એટલે કે 37 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધી જાય છે, ત્યારે આ સ્થિતિને હીટ સ્ટ્રોક કહેવામાં આવે છે. હીટ સ્ટ્રોકના કિસ્સામાં કયા પ્રકારના ઘરગથ્થુ ઉપચાર કરી શકાય?હીટ સ્ટ્રોકના કિસ્સામાં, સૌ પ્રથમ શરીરના વધેલા તાપમાનને કંટ્રોલ કરવાની અને ડિહાઇડ્રેશન દૂર કરવાની જરૂર છે. આવી સ્થિતિમાં આ ઉપાયો અપનાવી શકાય છે. જેમ કે- જો કોઈ વ્યક્તિ માનસિક સમસ્યાઓથી પીડિત હોય, જેમ કે સ્ટટરિંગ, બેભાન થવું અથવા માનસિક ધ્રુજારી. આ સ્થિતિ ખતરનાક લેવલના હીટ સ્ટ્રોકની છે. આવી સ્થિતિમાં દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવો જોઈએ. કારણ કે આમાં શરીરનાં અંગોને નુકસાન થવાનું જોખમ રહેલું છે. વ્યક્તિએ પોતાની જાતે કોઈપણ પ્રકારની સારવાર ન કરવી જોઈએ. કારણ કે આવી સ્થિતિમાં થોડી બેદરકારી પણ દર્દીના મૃત્યુનું કારણ બની શકે છે. હીટ સ્ટ્રોકથી બચવા માટે કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ? હીટ સ્ટ્રોકથી બચવા માટે કેવો આહાર હોવો જોઈએ?નિષ્ણાત તબીબના જણાવ્યા મુજબ, હીટ સ્ટ્રોકથી બચવા માટે ઘરની બહાર નીકળતા પહેલાં કંઈક ખાઓ. દાદા અને દાદી કહે છે કે ઘરની બહાર ક્યારેય ખાલી પેટ ન નીકળવું જોઈએ, તેની પાછળ વિજ્ઞાન છે. જ્યારે તમે ખાલી પેટે બહાર જાઓ છો, ત્યારે તમે ઝડપથી થાકી જાઓ છો અને ઇલેક્ટ્રોલાઇટ્સ ગુમાવો છો, જે ડિહાઇડ્રેશનનું કારણ બને છે. ગરમી અને સનસ્ટ્રોકથી બચવા માટે તમે નારિયેળ પાણી પી શકો છો. આ ઉપરાંત, તડકામાંથી આવ્યા પછી અથવા વધુ પડતો પરસેવો આવ્યા પછી તરત જ ઠંડું પાણી પીવું જોઈએ નહીં. ઉનાળામાં પાણીમાં લીંબુ અને મીઠું ભેળવીને દિવસમાં બે-ત્રણ વાર પીવું જોઈએ. આ હીટ સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે. જે લોકો હીટ સ્ટ્રોકથી પરેશાન છે તેઓ માટે જવનો લોટ અને ડુંગળી પીસીને પેસ્ટ બનાવો અને તેને શરીર પર લગાવો, તેનાથી તેમને ઘણી રાહત થશે. તડકામાંથી બહાર આવ્યા પછી ડુંગળીનો થોડો રસ મધમાં ભેળવીને ચાટવાથી હીટ સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે. ઉનાળાની ઋતુમાં જમ્યા પછી ગોળ ખાવાથી હીટ સ્ટ્રોકનું જોખમ પણ ઓછું થઈ જાય છે. ઉનાળામાં હળવો ખોરાક લેવો જોઈએ અને ડાયટમાં દહીંનો સમાવેશ કરવો જોઈએ.
અનિષ્ટ પર ઇષ્ટના વિજયના પ્રતીક સમાન હોળી પર્વની ઉજવણી કરવામાં આવશે. માંજલપુર ગામમાં ગુજરાતની સૌથી મોટી હોળી પ્રજ્વલિત કરવામાં આવે છે. ગામના યુવાનો, બાળકો, મહિલાઓમાં હોળી પર્વની ઉજવણી માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 15 દિવસ અગાઉથી જ હોળી પર્વની તૈયારીઓ શરૂ થઈ જાય છેમાંજલપુર ગામના યુવાનો અને બાળકોમાં દર વર્ષે હોળીની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે. 15 દિવસ અગાઉથી જ હોળી પર્વની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. બાળકો અલગ અલગ વિસ્તારોમાં જઈને લાકડા તેમજ અન્ય સામગ્રી ઉઘરાવી લાવે છે અને એકત્રિત કરે છે. ગ્રામજનો પણ બાળકોના ઉત્સાહને જોઈને લાકડાની ભંગાર ચીજવસ્તુઓ તેમજ અન્ય સામગ્રી આપે છે. માંજલપુર ગામમાં હોળીના દિવસે સાંજે રેલી નીકળેગામના આગેવાન રવિરાજસિંહ સોલંકીએ જણાવ્યું કે, માંજલપુર ગામમાં હોળીના દિવસે સાંજે રેલી કાઢવામાં આવે છે અને આ રેલી હોલિકા પાસે પહોંચે છે ત્યાર બાદ હોલિકા દહન કરવામાં આવે છે. આખુંયે ગામ હોલિકાનું પૂજા અર્ચન કરે છે અને પોતાનામાં રહેલી નકારાત્મકતા દૂર થાય તેવી પ્રાર્થના કરે છે. હોળીમાં નારિયેળ, ખજૂર, ધાણી, ચણા સહિતની સામગ્રી હોમવામાં આવે છે અને તેના ફેરા ફરવામાં આવે છે. હોળીની અગ્નિ ચારથી પાંચ દિવસ 4-5 દિવસ બાદ ઠરે છે રવિરાજ સોલંકીએ જણાવ્યું કે, આ હોળી માત્ર ગુજરાત જ નહી પરંતુ કદાચ સમગ્ર ભારતમાં સૌથી મોટી હોળી છે. તેની જ્વાળાઓ અંદાજે 32થી 35 ફૂટ ઊંચે જાય છે અને હોળીની અગ્નિ ચારથી પાંચ દિવસ સુધી પ્રજ્વલિત રહે છે. ત્યારબાદ તે ઠંડી પડે છે. સોમવારે હોળી, બુધવારે ધૂળેટીઆ વર્ષે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 3 માર્ચના રોજ હોવાના કારણે હોલિકા દહન માટે અસમંજસની સ્થિતિ ઉભી થઈ છે. ક્યાંક 2 માર્ચની ચર્ચા છે તો ક્યાંક 3 માર્ચને સાચી તારીખ ગણાવવામાં આવી રહી છે. હવે જ્યોતિષીય ગણતરીઓ અને પંચાંગ અનુસાર સ્પષ્ટ થયું છે કે વર્ષ 2026માં રંગોની હોળી 4 માર્ચ, બુધવારે ઉજવાશે. તે પહેલાં 2 માર્ચ, સોમવારની સાંજે હોળિકા દહન કરવામાં આવશે. 2 માર્ચે સાંજે પૂર્ણિમાની શરૂઆત થાય છે જેથી 2 માર્ચે હોળી પ્રજ્વલિત કરવામાં આવશે.
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના નાલોઠા ગામે આદર્શ નિવાસી મિશ્ર શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ શાળા અંદાજે ₹51.35 કરોડના ખર્ચે બનશે. આ પ્રસંગે આદિજાતિ બાબતોના મંત્રી નરેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નવી આદર્શ નિવાસી શાળાનો મુખ્ય હેતુ આદિજાતિ બાળકોને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરીય શિક્ષણ પૂરું પાડવાનો છે. આ શાળા દ્વારા બાળકોની સાક્ષરતા વધારવામાં મદદ મળશે. અહીં અભ્યાસ અર્થે આવનાર બાળકો માટે વિના મૂલ્યે રહેવા, જમવા અને શિક્ષણની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સુવિધાઓ બાળકોના શિક્ષણની સાથે તેમની અન્ય જરૂરિયાતો પણ સંતોષશે. ખાતમુહૂર્ત સમારોહમાં મંત્રી નરેશ પટેલ ઉપરાંત મંત્રી જયરામ ગામીત અને ધારાસભ્ય મોહન ધોળીયા સહિતના સ્થાનિક આગેવાનો પણ હાજર રહ્યા હતા.
હિંમતનગરના મોતીપુરામાં ટેન્કરની ટક્કરે કિશોરનું મોત:મોપેડ સવારને ઈજા, અકસ્માત CCTVમાં કેદ
હિંમતનગરના મોતીપુરા નજીક નેશનલ હાઈવે 48 ના સર્વિસ રોડ પર આજે બપોરે એક અકસ્માત સર્જાયો હતો. દૂધના ટેન્કરે મોપેડને ટક્કર મારતા 12 વર્ષીય કિશોરનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે મોપેડ ચાલકને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ઝહીરાબાદના રહેવાસી 45 વર્ષીય ઝુનેદભાઈ ઇકબાલભાઈ મેમણ અને તેમની સાથે 12 વર્ષીય કિશોર રવિવારે બપોરના સમયે હિંમતનગરથી અમદાવાદ તરફ જતા સર્વિસ રોડ પર મોપેડ લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી આવી રહેલા દૂધના ટેન્કરે મોપેડને ટક્કર મારી હતી. ટક્કર વાગતા કિશોર રોડ પર પટકાયો હતો અને તેના પર વાહનનું ટાયર ફરી વળતા તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ઝુનેદભાઈને શરીરે ઈજાઓ થતા તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અકસ્માત અંગે હિંમતનગર એ ડિવિઝન પોલીસને જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર ઘટના કડીવાલા પેટ્રોલ પંપ સામેના સર્વિસ રોડ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેના ફૂટેજ હવે સામે આવ્યા છે. સીસીટીવીમાં દેખાય છે કે કેવી રીતે ટેન્કરે મોપેડને ટક્કર મારી અને કિશોરનું મૃત્યુ થયું.
હિંમતનગરમાં આવાસ યોજનામાંથી ગાંજો ઝડપાયો:6.413 કિલો ગાંજા સાથે એક પકડાયો, ત્રણ સામે ગુનો
હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં આવેલી આવાસ યોજનાના એક મકાનમાંથી પોલીસે મોટી માત્રામાં ગાંજો ઝડપી પાડ્યો છે. એ ડીવીઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી 6.413 કિલોગ્રામ ગાંજા સાથે એક આરોપીને ઝડપી લીધો હતો. હિંમતનગર વિભાગીય કચેરીના નાયબ પોલીસ અધિક્ષક એ.કે. પટેલ અને એ ડીવીઝન PI પી.એમ. ચૌધરીએ આ અંગે માહિતી આપી હતી. એ ડીવીઝન પોલીસ ડી સ્ટાફને મળેલી બાતમીના આધારે છાપરીયા આવાસ યોજનાના બ્લોક બી, મકાન નંબર 19 માં રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન, બે પ્લાસ્ટિકની થેલીઓમાંથી કુલ 6.413 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત આશરે રૂ. 3,20,650 થાય છે. આ ઉપરાંત, રૂ. 5,000 નો એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો, આમ કુલ રૂ. 3,25,650 નો મુદ્દામાલ કબજે લેવાયો હતો. પોલીસે શંકરભાઈ જીતેન્દ્રભાઈ સલાટ (મૂળ મોતીપુરા, સલાટવાસ, હાલ આવાસમાં રહેતા) ને ઝડપી પાડ્યો હતો. આ ગાંજો પોશીનાના સવાભાઈ અને ભરતભાઈએ આપ્યો હોવાનું ખુલ્યું છે. હિંમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં PSI એન.બી. વાઘેલાની ફરિયાદના આધારે, ફરાર સવાભાઈ અને ભરતભાઈ સહિત કુલ ત્રણ આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરત શહેરમાં સામાજિક સેવાના નામે ચાલતી સંસ્થાઓ સામે ફરી એકવાર સવાલો ઉઠ્યા છે. સુરતમાં 'યશસ્વી ફાઉન્ડેશન' દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં નોંધણી કરાવનાર એક આંતરધર્મીય (હિન્દુ-મુસ્લિમ) યુગલે સંસ્થા પર ગંભીર આક્ષેપો કરતા વીડિયો વાયરલ કરીને જણાવ્યું છે કે, સંસ્થાએ પોતાની પબ્લિસિટી અને TRP મેળવવા માટે તેમનો ઉપયોગ કર્યો છે અને હવે વિવાદ થતાં લગ્ન કરાવવાની ના પાડી હાથ અધ્ધર કરી લીધા છે. શું છે સમગ્ર મામલો? વાયરલ વીડિયોમાં દેખાતી યુવતી ફરહાએ જણાવ્યું હતું કે, તેણે અને તેના સાથીએ યશસ્વી ફાઉન્ડેશન દ્વારા આયોજિત સમૂહ લગ્ન માટે નોંધણી કરાવી હતી. તેમનો હેતુ કોઈ પણ સમાજની લાગણી દુભાવવાનો નહોતો, પરંતુ માત્ર લગ્ન ગ્રંથિથી જોડાવાનો હતો. સંસ્થા દ્વારા તેમનું ફોર્મ સિલેક્ટ કરી 14 માર્ચે લગ્ન કરાવવાની ખાતરી આપવામાં આવી હતી. સંસ્થા પર લાગેલા ગંભીર આરોપો યુગલના જણાવ્યા અનુસાર, 25 ફેબ્રુઆરીએ ડુમસ ખાતે પાનેતર વિતરણના કાર્યક્રમમાં તેમને બોલાવવામાં આવ્યા હતા. ત્યાં ગયા બાદ તેમને જાણ થઈ કે પ્રેસ કોન્ફરન્સ પણ રાખવામાં આવી છે. યુવતીનો આરોપ છે કે સંસ્થાના ગાયત્રીબેન નામના કર્મચારીએ તેમને દબાણ કર્યું કે, અમે તમારા માટે આટલું કરીએ છીએ તો તમારે એક ઇન્ટરવ્યુ આપવો પડશે. સંસ્થાએ પત્રકારોને સામેથી જણાવ્યું કે આ 'હિન્દુ-મુસ્લિમ' યુગલ છે, જેથી તેમને સારી ન્યૂઝ લીડ મળે. આ ઇન્ટરવ્યુ વાયરલ થયા બાદ યુગલને સોશિયલ મીડિયા પર ખૂબ જ નકારાત્મક ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો, જેના કારણે તેમનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. વિવાદ થતાં સંસ્થાએ પીછેહઠ કરી જ્યારે યુગલ આ નકારાત્મક પ્રતિસાદથી કંટાળીને સંસ્થાની ઓફિસે ગયું, ત્યારે સંસ્થાના સભ્યોએ જવાબદારી લેવાનો ઇનકાર કરી દીધો હતો. બાદમાં સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું કે, સંસ્થાએ વિવાદને કારણે તેમના લગ્ન કરાવવાની ના પાડી દીધી છે. ફરહા (પીડિત યુવતી) એ જણાવ્યું હતું કે, યશસ્વી ફાઉન્ડેશને માત્ર પોતાની TRP માટે અમારો ઉપયોગ કર્યો અને હવે જ્યારે અમે મુશ્કેલીમાં છીએ ત્યારે અમને એકલા છોડી દીધા છે. અમારી આબરૂ પર લાંછન લાગ્યું છે અને અમારી જિંદગી બરબાદ કરવા માટે અમે સંસ્થાનો આભાર માનીએ છીએ. અંગત ફાયદા કે TRP માટે અન્ય કોઈની જિંદગી સાથે રમત ન રમે યુવતીએ અન્ય યુવતીઓને પણ સાવચેત રહેવા વિનંતી કરી છે કે કોઈ પણ સંસ્થા પોતાના અંગત ફાયદા કે TRP માટે અન્ય કોઈની જિંદગી સાથે રમત ન રમે. હાલ આ મામલે સુરતના સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચાઓ જાગી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ યશવી ફાઉન્ડેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ સમૂહલગ્નમાં એક મુસ્લિમ દીકરી પણ પોતાના માતાની સંમતિથી હિન્દુ યુવક સાથે લગ્નગ્રંથિથી જોડાનાર હતી. યશવી ફાઉન્ડેશન દ્વારા બે દિવસ પહેલા કરાયેલો ખુલાસો પરંતુ 27 ફેબ્રુઆરી, 2026ના રોજ બંને યુવક યુવતીએ આવીને અમને જણાવ્યું હતું કે હવે મુસ્લિમ દીકરીના પરિવારજનો સામાજિક, પારિવારિક અને અંગત કારણોને ધ્યાનમાં રાખીને હવે આ લગ્ન માટે તૈયાર નથી. પરંતુ યુવક યુવતી લગ્ન માટે તૈયાર છે. જોકે તાજેતરમાં જ ફેરફાર થયેલા લગ્ન નોંધણી કાયદાનું સન્માન કરતા જયારે પ્રેમલગ્નમાં માતાપિતાની સંમતિ ન હોય તો એ લગ્ન માન્ય ગણી ન શકાય. આ જ બાબતને ધ્યાનમાં રાખીને કાયદાનું પાલન થઇ રહ્યું ન હોવાનું ધ્યાને આવતા અમે (યશવી ફાઉન્ડેશન ચૅરિટેબલ ટ્રસ્ટ) આ ફોર્મ રદ્દ કરવાનું જાહેર કરીએ છીએ. સેવાના કાર્યને વરેલું યશવી ફાઉન્ડેશન કોઇપણ ધર્મ કે સમાજની લાગણી દુભાય તેવું કાર્ય કરવા ઇચ્છતું નથી. આ ઉપરાંત આ કેસ આ પરિવારની અંગત મામલો હોય તેમની ગોપનીયતા સંયમ સાથે જળવાય તેવી વિનંતી.
જામનગરના પ્રદર્શન મેદાનમાં 28 ફેબ્રુઆરી, શનિવારે વિજ્ઞાન દિવસ નિમિત્તે પ્લેનેટ પરેડ નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો. વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો અનેક ખગોળપ્રેમીઓએ લાભ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન, અત્યાધુનિક પાંચ ટેલિસ્કોપના માધ્યમથી વિવિધ ગ્રહો, ચંદ્ર અને સૂર્યનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું. આ સાથે, માઇક પર અવકાશી ગતિવિધિઓ વિશે વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી. આ નિદર્શન સાંજે 6:00 થી 8:30 કલાક દરમિયાન યોજાયું હતું. ખગોળ મંડળ જામનગર, રંગતાળી ગ્રુપ અને ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત એમ. ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આ અવકાશી નજારો નિહાળવા માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સૌપ્રથમ, સૂર્યાસ્ત પહેલાં ટેલિસ્કોપ પર ફિલ્ટર લગાવીને સૂર્ય અને તેમાં દેખાતા એકમાત્ર સૂર્યકલંકનું નિદર્શન કરાયું હતું. ત્યારબાદ, ચંદ્ર અને તેના પરના ક્રેટર્સ, ગુરુ ગ્રહ તેના ચાર ચમકતા ચંદ્ર અને ગ્રહ પરના બેલ્ટ ટેલિસ્કોપ દ્વારા બતાવવામાં આવ્યા હતા. શુક્ર અને શનિ ગ્રહો ક્ષિતિજ પર નીચા હોવા છતાં આકાશમાં પ્રત્યક્ષ બતાવવામાં આવ્યા હતા. એમ.ડી. મહેતા સાયન્સ સેન્ટર, ધ્રોલના ડો. સંજય પંડ્યાએ સૂર્યમાળાના ગ્રહો વિશે માહિતી આપી હતી, જ્યારે ખગોળ મંડળ જામનગરના કિરીટભાઈ શાહે આકાશમાં રહેલા તારા અને નક્ષત્રો વિશે જાણકારી પૂરી પાડી હતી. આ પ્લેનેટ નિદર્શન કાર્યક્રમમાં શહેર ભાજપના અધ્યક્ષ ડો. બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા સહિત શહેરના અન્ય મહાનુભાવો, વિવિધ સંસ્થાના અગ્રણીઓ અને બાળકો સહિત અનેક ખગોળપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ખગોળીય ઘટના હવે પછી 2040 માં જોવા મળશે. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા રંગતાળી ગ્રુપના સંજય જાની દ્વારા કરવામાં આવી હતી. ધ્રોલ એમ.ડી. મહેતા સાયન્સ સેન્ટરની ટીમ જેમાં પંકજભાઈ ડાંગર, રવિભાઈ ધ્રાંગધરીયા અને સદ્દામભાઈનો સમાવેશ થાય છે, તેઓ ધ્રોલથી ટેલિસ્કોપ લઈને જામનગર આવ્યા હતા અને નિદર્શન કરાવ્યું હતું. જામનગર ખગોળ મંડળના અમિતભાઈ વ્યાસ, કલ્પેશ સુરેલીયા, કપિલ સંઘવી, દીપાલી પંડ્યા તેમજ ખગોળપ્રેમીઓ કેવલ ચાવડા અને જયદીપ ચાવડા પણ અન્ય ટેલિસ્કોપ સાથે જોડાઈને નિદર્શનમાં સહભાગી થયા હતા.
આમ આદમી પાર્ટી દ્વારા સોમનાથથી ગાંધીનગર સુધી 'કિસાન બચાવો યાત્રા' શરૂ કરવામાં આવી છે. આ યાત્રા આજે રાજકોટ પહોંચી હતી. જેને લઈને આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામ અને પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખિલ સહિત પદાધિકારીઓની પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં પ્રવીણ રામએ કૃષિ મંત્રીને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે, યાત્રામાં જાતે આવીને જુઓ ખેડૂતોને કેટલી સમસ્યા છે. ખેડૂતો આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને તેનો જવાબ આપશે. તો સિંચાઈની સમસ્યા, પાક વીમા અને નકલી બિયારણ સહિતના પડતર પ્રશ્નો મુદ્દે સરકારને ઘેરી હતી. પ્રવીણ રામે જણાવ્યું હતું કે, આ યાત્રા માત્ર એક રાજકીય કાર્યક્રમ નથી પરંતુ ગુજરાતના લાખો પીડિત ખેડૂતોનો અવાજ છે. 108 દિવસની જેલ ભોગવ્યા બાદ, ખેડૂતોના હક માટે ફરીથી મેદાનમાં ઉતરેલી આમ આદમી પાર્ટીનો આ પ્રથમ મોટો પ્રયાસ છે. સોમનાથની પવિત્ર ભૂમિથી શરૂ થયેલી યાત્રા હવે રાજકોટ પહોંચી છે, જ્યાં સ્થાનિક પદાધિકારીઓ અને જિલ્લાના આગેવાનો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં આ યાત્રા રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં પરિભ્રમણ કરશે, જેનો મુખ્ય હેતુ છેવાડાના ખેડૂત સુધી પહોંચવાનો છે. રાજકોટમાં પ્રવીણ રામે સત્તાધારી પક્ષ અને કૃષિ મંત્રી પર આકરા પ્રહારો કર્યા હતા. કૃષિ મંત્રીએ અગાઉ આપેલા નિવેદન કે આ યાત્રામાં કોઈ ખેડૂતો જોડાઈ રહ્યા નથી તેના પર વળતો પ્રહાર કરતા પ્રવીણ રામે ખુલ્લો પડકાર ફેંક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, જો કૃષિ મંત્રીને ખરેખર જમીની હકીકત જાણવી હોય, તો તેમણે એસી ચેમ્બરમાંથી બહાર નીકળીને જાતે આ યાત્રામાં જોડાવું જોઈએ. કૃષિમંત્રી આ યાત્રામાં આવીને જુએ કે કેટલા ખેડૂતો સ્વયંભૂ રીતે જોડાઈ રહ્યા છે અને તેમના મનમાં સરકાર પ્રત્યે કેટલો પ્રચંડ રોષ અને અસંતોષ છે. સરકાર ખેડૂતોની સમસ્યાઓ ઉકેલવાને બદલે તેમની મજાક ઉડાવી રહી છે તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. ભાજપ કયા મોઢે 2027 ની ચૂંટણી ખેડૂતોના મુદ્દે લડવાની વાત કરે છે? જ્યારે વાસ્તવિકતામાં ખેડૂતોના એક પણ પાયાના પ્રશ્નનો ઉકેલ લાવવામાં સરકાર નિષ્ફળ રહી છે. ખેડૂતોની વેદનાને વાચા આપતા પ્રવીણ રામે અનેક ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે ખેડૂતોના ઉભા પાકમાં તેમની સંમતિ વિના વીજ લાઈનો નાખવામાં આવી રહી છે અને તેની સામે યોગ્ય વળતર પણ ચૂકવવામાં આવતું નથી. જો કોઈ ખેડૂત વિરોધ કરે તો તેના પર સરકારી તંત્ર દ્વારા દમન ગુજારવામાં આવે છે. આ ઉપરાંત, કુદરતી આફતો જેવી કે માવઠાના સમયે ખેડૂતોને જે સહાય મળવી જોઈએ, તેમાં પણ મોટી અનિયમિતતાઓ જોવા મળી રહી છે. સરકાર દ્વારા સહાયની મોટી મોટી જાહેરાતો તો કરવામાં આવે છે, પરંતુ પાયાના સ્તરે ખેડૂતોના બેંક ખાતા સુધી આ રકમ પહોંચતી નથી. સૌથી મોટો અને ગંભીર પ્રશ્ન સિંચાઈના પાણીનો છે. ડેમમાં પાણી હોવા છતાં ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી, જ્યારે ઉદ્યોગો અને મોટી કંપનીઓને પાણી પહોંચાડવામાં સરકાર વધારે રસ દાખવી રહી છે. આ અન્યાય સામે ખેડૂતો હવે જાગૃત થઈ રહ્યા છે. રાજકોટ જિલ્લામાં આ યાત્રા દરમિયાન અનેક લોકસંપર્ક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવીણ રામે માહિતી આપી હતી કે જિલ્લાના દરેક તાલુકામાં 'ચૌપાલ બેઠકો' અને 'રાત્રી સભાઓ' યોજવામાં આવશે. આ બેઠકોનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતો સાથે સીધો સંવાદ સાધવાનો અને તેમની સ્થાનિક સમસ્યાઓને સમજવાનો છે. અત્યાર સુધી સૌરાષ્ટ્રના જે વિસ્તારોમાંથી આ યાત્રા પસાર થઈ છે, ત્યાં ખેડૂતોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. ખેડૂતો પોતાની પીડા વ્યક્ત કરી રહ્યા છે અને સરકારની નીતિઓથી કંટાળી ગયા છે. આ યાત્રા 8 મી તારીખે ગાંધીનગર પહોંચવાની છે, જ્યાં ખેડૂતોના તમામ પ્રશ્નોને ઉજાગર કરીને સરકાર સામે મજબૂત લડત આપવામાં આવશે. આમ આદમી પાર્ટી ખેડૂતોના હક માટે કોઈ પણ પ્રકારનું બલિદાન આપવા તૈયાર છે અને તેમની લડતને છેક સુધી લડશે. પ્રવીણ રામે આગામી ચૂંટણીઓના સંદર્ભમાં સરકારને ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતો ભિખારી નથી પણ સ્વાભિમાન ધરાવતા નાગરિકો છે. તેઓ જે માંગી રહ્યા છે તે કોઈ ભીખ નથી પરંતુ તેમનો બંધારણીય હક છે. સરકારે અગાઉ ખેડૂતો પર લાઠીઓ વરસાવી છે અને તેમને હેરાન કર્યા છે, જેનો જવાબ ખેડૂતો આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચોક્કસ આપશે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ખેડૂતો પોતાના મતની શક્તિ બતાવીને ભાજપ સરકારને પાઠ ભણાવશે. તેમણે રાજકોટ જિલ્લાના તમામ ખેડૂત ભાઈઓને મોટી સંખ્યામાં આ કિસાન બચાવો યાત્રા માં જોડાઇને પોતાના હક માટે અવાજ ઉઠાવવા આવાહન કર્યું હતું.
અમરેલીના ગિરિયા નજીક ચાર દિવસ પૂર્વે કૂવામાંથી પિતા દીપકભાઈ રામાણી અને તેમની 12 વર્ષીય પુત્રી રિવાના મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટનામાં પરિવારે મૃતક દ્વારા લખાયેલી સુસાઈડ નોટ પોલીસને સુપરત કરતા નવો વળાંક આવ્યો છે. અમરેલી તાલુકા પોલીસે દીપકભાઈની પત્ની સહિત સાત આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ ફરિયાદ અનુસાર, મૃતક દીપકભાઈના લગ્ન આશરે પાંચ મહિના પહેલા સુરતની હેતલબેન સોજીત્રા સાથે થયા હતા. હેતલબેન લગ્નના આશરે 15 દિવસ સુધી દીપકભાઈ સાથે રહ્યા બાદ રિસાઈને પિયર જતા રહ્યા હતા. આ વાતનું મનદુઃખ રાખીને છેલ્લા ચાર મહિનાથી આરોપીઓ દીપકભાઈને ફોન પર અને રૂબરૂમાં ખોટા કેસમાં ફસાવી દેવાની, બેંકની નોકરીમાંથી કઢાવી નાખવાની ધમકીઓ આપતા હતા અને ગાળો બોલી માનસિક ત્રાસ આપતા હતા. આ આરોપીઓના ત્રાસથી કંટાળીને દીપકભાઈ પોતાની વાડીએ ખેતરમાં દીકરી રિવા સાથે કૂવામાં કૂદી પડ્યા હતા. ફરિયાદમાં જણાવાયું છે કે આરોપીઓના ત્રાસથી પિતા-પુત્રી બંનેએ સાથે મળીને આપઘાત કર્યો હતો. આ અંગે દીપકભાઈના ભાઈ હિતેશભાઈ બાબુભાઈ રામાણીએ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે હેતલબેન મગનભાઈ વેકરીયા, રવજીભાઈ સોજીત્રા, રાકેશભાઈ મગનભાઈ વેકરીયા, પ્રભાબેન મગનભાઈ વેકરીયા, શૈલેષભાઈ વેકરીયા, રમેશભાઈ ધરાઈ અને અન્ય એક વ્યક્તિ સહિત કુલ સાત આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુસાઈડ નોટમાં પણ આ તમામ આરોપીઓ દ્વારા મૃતકને ત્રાસ અને ધમકીઓ અપાતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મૃતકે સુસાઈડ નોટ સાથે પોતાનો મોબાઈલ પણ કૂવામાં નાખ્યો હોવાનું સામે આવ્યું છે. અમરેલી તાલુકા પોલીસની ટીમ ફાયર વિભાગ સાથે ફરી કૂવા સ્થળે પહોંચી હતી. 50 ફૂટ ઊંડા પાણી ભરેલા કૂવામાં ફાયર ટીમે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ મોબાઈલનો કોઈ પત્તો લાગ્યો ન હતો. પોલીસને શંકા છે કે મોબાઈલમાંથી કેટલાક મહત્વના પુરાવા મળી શકે છે, જેથી પોલીસે આ દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
વડોદરા ખાતે રાખડતા શ્વાન તેમજ પાળતી શ્વાન માટે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્વાનોને હડકવા તેમજ વિવિધ 10 જીવલેણ બીમારીઓ સામે રક્ષણ આપવા માટે નિઃશુલ્ક રસીકરણ કેમ્પ યોજવામાં આવ્યો હતો. 500થી વધુ શ્વાનને રસી અપાઈએનિમલ લવર્સ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં રખડતા શ્વાનને પકડીને લાવવામાં આવ્યા હતાં. ખાસ કરીને નાના બચ્ચાઓને રસી મૂકવામાં આવી હતી. તો શહેરના જે લોકો શ્વાનને પાળે છે, તેઓ પણ રસીકરણ માટે આવ્યા હતા. 500થી વધુ શ્વાનને રસી મૂકવામાં આવી હતી. રખડતા શ્વાનને દત્તક લેવા આયોજનવડોદરા શહેરમાં રખડતા શ્વાનને દત્તક લેવા માટે પણ આયોજન કરવામાં આવશે. કેમ્પમાં એનિમલ લવર સૃષ્ટિ પટેલે જણાવ્યું હતું કે, રખડતા શ્વાનને પણ દત્તક લેવા માટે લોકોમાં જાગૃતિ લાવવામાં આવશે. સામાન્ય રીતે ઘરની બહાર દરેક લોકો આ શ્વાનને ખોરાક આપતા જ હોય છે, પરંતુ તેઓ તેની જવાબદારી સ્વીકારે અને તેને જો કઈ થાય તો તેને સારવાર અપાવે તે માટે કેમ્પ યોજવામાં આવશે. જે લોકો રખડતા શ્વાનને દત્તક લેવા માગતા હશે તેઓને સમજ આપવામાં આવશે ગુજરાતમાં પ્રથમ વખત આવો કેમ્પ યોજાયોરખડતા શ્વાનના રસીકરણ માટેનો નિઃશુલ્ક કેમ્પ સૌપ્રથમ વખત આયોજિત કરવામાં આવ્યો હતો. સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત આવો કેમ્પ યોજાયો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનના હુમલાના ઘટનાઓ વધી છે. ત્યારે આવા કેમ્પ થકી માત્ર શ્વાન જ નહીં, પરંતુ નાગરિકોના જીવનું જોખમ પણ અટકશે તેવું આયોજકોનું માનવું છે.
જામનગરમાં આગામી 2 માર્ચ, 2026 (ફાગણ સુદ પૂનમ)ના રોજ વિશ્વ વિખ્યાત હોલિકા મહોત્સવ ઉજવાશે. આ માટે ભોઈ સમાજ દ્વારા 25 ફૂટથી વધુ ઊંચા હોલિકાના પૂતળાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જે અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે. જામનગરનો ભોઈ સમાજ છેલ્લા 70 વર્ષથી આ પરંપરાગત હોલિકા દહન ઉત્સવનું ભવ્ય આયોજન કરી રહ્યો છે. શ્રી ભોઈજ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા આયોજિત આ મહોત્સવમાં આ વર્ષે કન્વીનર તરીકે હર્ષ મહેતા અને તેમની ટીમ જવાબદારી સંભાળી રહી છે. ભોઈ સમાજના સભ્યો એક મહિના અગાઉથી આ પૂતળું બનાવવાનું શરૂ કરે છે. પર્યાવરણને અનુકૂળ સામગ્રી જેવી કે ઘાસ, લાકડું, કોથળા, કાગળ અને કુદરતી રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. આ પૂતળાની ઊંચાઈ 25 ફૂટથી વધુ છે અને તેનું વજન અંદાજે 3 થી 4 ટન જેટલું છે. તેને ખાસ પ્રકારના આભૂષણો અને વસ્ત્રોથી શણગારવામાં આવે છે. આ વિશાળ પૂતળાના નિર્માણમાં અનેક કલાકારો અને સેવકોનો ફાળો છે. ભરતભાઈ ગોંડલીયા માર્ગદર્શન પૂરું પાડે છે, જ્યારે શનિભાઈ કુંભારાણા અને તેમની ટીમ આભૂષણો બનાવે છે. પી.ઓ.પી. આર્ટિસ્ટ રમેશભાઈ જેઠવા પણ આ કાર્યમાં જોડાયેલા છે. સમગ્ર ભોઈ સમાજના વડીલો અને યુવાનોના સહયોગથી આ કાર્ય પૂર્ણ થાય છે. તૈયાર થયેલા આ વિશાળ પૂતળાને વાજતે-ગાજતે ભોઈજ્ઞાતિની વાડીથી શહેરના સુભાષ માર્કેટ નજીક આવેલા હોલિકા ચોક ખાતે લાવવામાં આવશે. અહીં હજારો શ્રદ્ધાળુઓ તેના દર્શનનો લાભ લેશે. 2 માર્ચ, 2026ના રોજ સાંજે આમંત્રિત મહેમાનોના હસ્તે હોલિકા દહન કરવામાં આવશે, જે ભક્ત પ્રહલાદના બચાવ અને હોલિકાના દહન દ્વારા અસત્ય પર સત્યની જીત દર્શાવે છે. આ દિવ્ય ક્ષણના સાક્ષી બનવા માટે જામનગર અને આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડશે. જામનગરનો ભોઈ સમાજ આ ઉત્સવ દ્વારા સનાતન ધર્મના વિજયનો સંદેશ ફરી એકવાર વિશ્વભરમાં ગુંજતો કરશે.
સુરત શહેરના વરાછા વિસ્તારમાં એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. હીરાબાગથી કામરેજ તરફ જતા વરાછા ઓવરબ્રિજ પર બંધ હાલતમાં ઉભેલા એક ટ્રેક્ટર પાછળ મોટરસાયકલ અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક જ પરિવારના પિતા પુત્ર અને ભત્રીજા સહિત ત્રણ સભ્યોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. રાત્રે ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો મળતી માહિતી મુજબ, ગત તારીખ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ રાત્રે આશરે 11.30 વાગ્યાના સુમારે શૈલેષભાઈ માણીયા (રહે. પાસોદરા) પોતાની પત્ની કૃપાબેન અને પુત્ર મન અને ભાઈ વિજયનો પુત્ર મંત્ર સાથે વરાછા ઉમીયાધામ રોડ પર આવેલ સોના એપાર્ટમેન્ટથી પોતાના ઘરે જઈ રહ્યા હતા. તેઓ જ્યારે હીરાબાગથી કામરેજ તરફ જતા ઓવરબ્રિજ પર પહોંચ્યા, ત્યારે ત્યાં અંધારામાં કોઈ પણ પ્રકારના રિફ્લેક્ટર કે સાઈન બોર્ડ વગર એક ટ્રેક્ટર બંધ હાલતમાં ઉભું હતું. અંધારાને કારણે ટ્રેક્ટર ન દેખાતા શૈલેષભાઈની મોટરસાયકલ સીધી ટ્રેક્ટર પાછળ ધડાકાભેર અથડાઈ હતી. બે માસૂમ બાળકો અને પિતાનું મોત અકસ્માત એટલો ભયાનક હતો કે પરિવારના ચારેય સભ્યોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. રાહદારીઓની મદદથી તાત્કાલિક તમામને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મન અને મંત્ર બંને ભાઈઓને વધુ સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન શૈલેષભાઈનું પણ ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. કૃપાબેન મૃતક શૈલેષભાઈના પત્ની હાલ ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ટ્રેક્ટર ચાલકે બેદરકારીપૂર્વક ઓવરબ્રિજ પર ટ્રેક્ટર ઊભું રાખી દીધું આ મામલે મૃતક શૈલેષભાઈના કાકા નાનજીભાઈ ગોગનભાઈ માયાણીએ અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ટ્રેક્ટર ચાલકે બેદરકારીપૂર્વક ઓવરબ્રિજ પર કોઈ પણ સુરક્ષા ચિહ્નો રાખ્યા વગર વાહન ઉભું રાખી બીજાની જિંદગી જોખમમાં મૂકી છે. પોલીસે ગુનો નોંધીને ફરાર ટ્રેક્ટર ચાલકની શોધખોળ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક જ પરિવારના બે કુળદીપકના મોતથી શોકનો માહોલ પરિવાર પાસેથી મળતી માહિતી પ્રમાણે, મૃતક શૈલેષભાઈ ના ભાઈ વિજયભાઈ ના સાસુનું અવસાન થઈ ગયું હોવાથી વરાછા ઉમિયાધામ ખાતે પરિવાર સાથે આવ્યા હતા. ત્યારબાદ શૈલેષભાઈ ની બાઈક પર પત્ની કૃપા પુત્ર મન અને ભાઈનો પુત્ર મંત્ર ને લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન અકસ્માત નડ્યો હતો અને એક જ પરિવારના ત્રણ લોકો એ જીવ ગુમાવ્યા હતા. બંને ભાઈઓ રત્નકલાકાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. શૈલેષભાઈ ના પરિવારમાં એક પુત્ર બે પુત્રી છે. જ્યારે વિજયભાઈના પરિવારમાં એક પુત્ર અનેક પુત્રી છે. તેથી બંને ભાઈઓ ના એકના એક કુળદીપકના અવસાનથી શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. નવનિર્મિત બ્રિજના કામ અર્થે ટ્રેક્ટર ઊભું રાખ્યું હતું અશ્વિનીકુમાર પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગૌશાળા થી કાપોદ્રા સુધી નવા બ્રિજની કામગીરી કરવામાં આવી રહી છે. જેના કામ અર્થે ટ્રેક્ટરને વરાછા ઓવરબ્રિજ પર લઈ જવામાં આવ્યું હતું અને કામગીરી કરવામાં આવી રહી હતી. રાત્રિના સમયે બાઇક ચાલક પરિવાર બ્રિજ પર ઉભેલા આ ટ્રેક્ટર માં ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. હાલ તો ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ કરવામાં આવી છે. ભાઈના સાસુ અને એક જ પરિવારના ત્રણની અંતિમ યાત્રા એક દિવસમાં અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક શૈલેષભાઈ ના ભાઈ વિજયભાઈ ના સાસુ નું અવસાન થયું હોવાથી રાત્રિના સમયે ગયા હતા અને ત્યાંથી પરત ફરતા અકસ્માત નડ્યો હતો. વિજયભાઈના સાસુની અંતિમયાત્રા આજે સવારે નીકળી હતી. જ્યારે શૈલેષભાઈ અને તેમના પરિવારની પણ અંતિમયાત્રા આજે નીકળે છે.
સ્માર્ટ સિટી તરીકે ઉભરી રહેલા રાજકોટમાં હજુ પણ કેટલાક વિસ્તારો પાયાની સુવિધાઓથી પણ વંચિત છે. જેમાં જામનગર રોડ પર આવેલી અમી હાઇટ્સ તેમજ તેની આસપાસની 10 જેટલી સોસાયટીઓમાં જવા માટે રસ્તો ગામડા જેવો છે. તેમજ સ્ટ્રીટ લાઈટ જેવી સગવડ પણ નહીં હોવાને કારણે સિટિબસ અને એમ્બ્યુલન્સ પણ સમયસર આવતી નથી. લાંબા સમયથી પ્રાથમિક સુવિધાઓનાં અભાવ વચ્ચે જોવતા સ્થાનિકોએ આજે રસ્તા, સ્ટ્રીટ લાઈટ અને સફાઈની સમસ્યાઓને લઈને રોષ વ્યક્ત કર્યો હતો. અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા તેઓએ આગામી ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. રસ્તાઓની બદતર હાલત અને અન્ય સમસ્યાઓ પ્રાપ્ત વિગત મુજબ જામનગર રોડ પર આવેલી અમી હાઇટ્સ અને તેની આસપાસની 10 સોસાયટીઓના રસ્તાઓની હાલત ગામડાના કાચા રસ્તા જેવી થઈ ગઈ છે. સ્થાનિકોનું કહેવું છે કે, ચોમાસામાં તો આ રસ્તાઓ પર ચાલવું પણ મુશ્કેલ બની જાય છે. ખાડાઓ અને કાદવ-કીચડને કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે. આ ઉપરાંત, સ્ટ્રીટ લાઈટના અભાવે રાત્રિના સમયે અંધારપટ છવાયેલો રહે છે, જેના કારણે મહિલાઓ અને બાળકોમાં ભયનો માહોલ રહે છે. સફાઈ કામદારો પણ નિયમિત આવતા નથી, જેના કારણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. સિટિબસની સુવિધા પણ આ વિસ્તારમાં ન હોવાથી લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારના લોકોનું કહેવું છે કે, અમે નિયમિત વેરો ભરીએ છીએ, છતાં અમને પાયાની સુવિધાઓ કેમ મળતી નથી? રશ્મિબેન ભટ્ટ નામનાં મહિલાએ દિવ્યભાસ્કર સમક્ષ જણાવ્યું હતું કે, અમે જામનગર રોડ પર અમી હાઈટ્સ પાસે રહીએ છીએ. અહીં છેલ્લા 10 વર્ષથી રોડ-રસ્તાની વિકટ સમસ્યા છે. રસ્તાઓ સાવ બિસ્માર હાલતમાં છે, જાણે કોઈ અંતરિયાળ ગામડામાં રહેતા હોય તેવો અનુભવ થાય છે. રાત્રે સ્ટ્રીટ લાઈટ ન હોવાને કારણે અંધારપટ છવાયેલો રહે છે, જેથી મહિલાઓ અને બાળકોને નીકળવામાં ડર લાગે છે. અમે અનેકવાર કોર્પોરેશનમાં રજૂઆત કરી છે પણ કોઈ સાંભળતું નથી. જો આ વખતે ચૂંટણી પહેલા રસ્તા અને લાઈટની સુવિધા નહીં મળે, તો અમારી 10 સોસાયટીના તમામ લોકોએ નક્કી કર્યું છે કે અમે ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરીશું. 'નો રોડ, નો વોટ' એ જ અમારો નારો છે. હેતલબેન રાવલ નામના અન્ય મહિલાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, અહીં સફાઈની કોઈ વ્યવસ્થા નથી અને ગંદકીના ગંજ ખડકાયેલા રહે છે. સૌથી મોટી તકલીફ સિટિબસની છે. અમારે મેઈન રોડ સુધી ચાલીને જવું પડે છે કારણ કે સોસાયટી સુધી કોઈ બસ આવતી નથી. રસ્તામાં એટલા ખાડા છે કે રિક્ષાવાળા પણ અંદર આવવાની ના પાડે છે. ચોમાસામાં તો હાલત વધુ ખરાબ થઈ જાય છે. અમે ટેક્સ પૂરેપૂરો ભરીએ છીએ તો અમને પાયાની સુવિધા કેમ નથી મળતી? જો અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો અમે એક પણ મત આપવા જવાના નથી. આ વિસ્તારમાં રહેતા શશીભાઈ કોઠીવાડે દિવ્યભાસ્કર સમક્ષ જણાવ્યું કે, ડ્રેનેજ અને પીવાના પાણીની લાઈનો નાખ્યા પછી રસ્તાનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું નથી. ધૂળની ડમરીઓ ઉડે છે જેના કારણે રહેવું મુશ્કેલ બન્યું છે. અધિકારીઓ ફક્ત મુલાકાત લઈને જાય છે પણ કામ આગળ વધતું નથી. જેને લઈ અમે હવે કંટાળી ગયા છીએ. આગામી ચૂંટણીમાં કોઈ પણ પક્ષનો નેતા પ્રચાર માટે આવશે તો અમે તેમને અટકાવીશું અને મતદાનનો બહિષ્કાર કરીશું. તંત્ર માત્ર વાતો કરે છે. સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે અમે નર્ક જેવી સ્થિતિમાં રહીએ છીએ. જ્યાં સુધી રસ્તા અને લાઈટની સુવિધા નહીં મળે ત્યાં સુધી અમે કોઈ પણ નેતાને અમારી સોસાયટીમાં પગ નહીં મૂકવા દઈએ. ઉલ્લેખનીય છે કે, આજે રવિવારે પણ સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. અને રહીશોએ ભેગા મળીને તંત્ર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેઓએ જણાવ્યું કે, જો ટૂંક સમયમાં આ સમસ્યાઓનો નિકાલ નહીં આવે તો તેઓ આગામી ચૂંટણીમાં મતદાન નહીં કરે. નો રોડ, નો વોટ ના નારા સાથે સ્થાનિકોએ પોતાની માંગણીઓ રજૂ કરી હતી. તેઓનું કહેવું છે કે, ચૂંટણી સમયે નેતાઓ વચનો આપી જાય છે, પરંતુ જીત્યા પછી કોઈ ડોકાતું નથી. અનેકવાર લેખિત રજૂઆતો કરી હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. હાલ રાત્રે અંધારામાં બહાર નીકળવું જોખમી બની ગયું છે. ત્યારે જો રસ્તો નહીં બને તો અમે ચોક્કસપણે ચૂંટણીનો બહિષ્કાર કરીશું. ત્યારે મનપા તંત્ર દ્વારા આ વિસ્તારના લોકોની સમસ્યા માટે ક્યારે અને શું પગલાં લેવાય છે તે જોવું રહ્યું.
મહાત્મા મંદિર ખાતે યોજાયેલી ગુજરાત સેમિકનેક્ટ કૉન્ફરન્સ 2026 દરમિયાન રાજ્યના મુખ્યમંત્રીએ ગુજરાત સરકારની મહત્ત્વાકાંક્ષી સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન (STI) નીતિ 2026-2031નું અનાવરણ કર્યું. વિકસિત ગુજરાતથી વિકસિત ભારત @2047ના વિઝન સાથે જાહેર કરાયેલી આ નીતિ ગુજરાતને જ્ઞાન આધારિત અને ટેક્નોલોજીમાં આત્મનિર્ભર રાજ્ય બનાવવાની દિશામાં મોટું પગલું માનવામાં આવી રહી છે. નવી નીતિ હેઠળ ₹1000 કરોડના “સ્વદેશી અનુસંધાન ફંડ”ની રચના કરવામાં આવી છે. આ ફંડ દ્વારા કૃત્રિમ બુદ્ધિમત્તા (AI), સેમિકન્ડક્ટર, ક્વાન્ટમ ટેક્નોલોજી, બાયોટેકનોલોજી, ગ્રીન એનર્જી, ડિફેન્સ ટેક્નોલોજી અને અંતરિક્ષ ક્ષેત્રે સંશોધનને પ્રોત્સાહન મળશે. દર વર્ષે 100થી વધુ ગુણવત્તાસભર પ્રોજેક્ટ્સને સહાય આપવામાં આવશે. 2030 સુધી 1 લાખ કુશળ સંશોધકો તૈયાર કરવાનો સંકલ્પરાજ્યમાં “ગુજરાત રાજ્ય સંશોધન અને નવીનતા ક્લસ્ટર (GRRICO)”ની સ્થાપના કરવામાં આવશે. શરૂઆત ગાંધીનગર-અમદાવાદ વિસ્તારમાંથી થશે અને ત્યારબાદ વડોદરા-સુરત તેમજ રાજકોટ-ભાવનગર-જુનાગઢ-જામનગર સુધી તેનો વિસ્તાર કરવામાં આવશે. અદ્યતન લેબ, ટેસ્ટિંગ સુવિધા અને ઉદ્યોગ-શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સહકાર માટે RD હબ્સ ઉભા કરાશે.માનવ સંસાધન વિકાસ પર ખાસ ભાર મૂકતા 2030 સુધી 1 લાખ કુશળ સંશોધકો તૈયાર કરવાનો સંકલ્પ જાહેર થયો છે. દર વર્ષે 250 JRF/SRF/PDF ફેલોશિપ, “વુમન ઇન ઇનોવેશન” યોજના અને એકીકૃત ગુજરાત RD પોર્ટલ દ્વારા યુવાનોને સંશોધન ક્ષેત્રે પ્રોત્સાહન મળશે. STEM શિક્ષણને મજબૂત બનાવવા રાજ્યમાં STEM લર્નિંગ સેન્ટર્સનો વિસ્તાર કરાશે. જિલ્લા વિજ્ઞાન કેન્દ્રો અને સાયન્સ સિટીને વધુ સશક્ત બનાવવામાં આવશે, જ્યારે મોબાઇલ વિજ્ઞાન પ્રયોગશાળાઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં વિજ્ઞાન પહોંચાડવામાં આવશે. CSR દ્વારા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળશેIP ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા 200થી વધુ IP સુવિધા કેન્દ્રો સ્થાપિત કરવાનો લક્ષ્ય નક્કી થયો છે, જેથી દર વર્ષે 1000થી વધુ બૌદ્ધિક સંપત્તિ નોંધણીઓ અને ઓછામાં ઓછા 500 પેટન્ટ નોંધાય. આ સાથે રાજ્ય 2030 સુધી STI ક્ષેત્રે ખર્ચને GSDPના 1% સુધી વધારશે અને વિવિધ વિભાગોમાં 1% RD ફાળવણી ફરજિયાત બનાવશે. CSR દ્વારા પણ સ્ટાર્ટઅપ અને નવીનતા ઇકોસિસ્ટમને પ્રોત્સાહન મળશે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ નોડલ વિભાગ તરીકે કામ કરશે, જ્યારે GUJCOST અમલી એજન્સી રહેશે. ગુજરાત સ્ટેટ રિસર્ચ ફાઉન્ડેશન અને નિષ્ણાત સમિતિ માર્ગદર્શન આપશે. રાજ્યમાં સેમિકન્ડક્ટર અને અદ્યતન ટેક્નોલોજી ક્ષેત્રે મજબૂત પાયો બાંધવા આ નીતિ ઐતિહાસિક સાબિત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
કહેવાય છે કે જ્યારે સંસારના ભૌતિક સુખો માણસને શાંતિ નથી આપી શકતા, ત્યારે મહાદેવનો માર્ગ જ પરમ આનંદ તરફ દોરી જાય છે. આવો જ કંઈક કિસ્સો દિલ્હીના રહેવાસી ગૌરવ હાંડાનો છે. છેલ્લા દસ મહિનાથી ભારતભરના ચારધામ અને બાર જ્યોતિર્લિંગની પદયાત્રા પર નીકળેલા ગૌરવ હાંડા હાલ ગિરનારની પવિત્ર ધરતી જૂનાગઢ આવી પહોંચ્યા છે. અહીં તેમણે ભવનાથ મહાદેવ અને ગિરનારી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દસ મહિનામાં 8,500 કિમી ચાલ્યાપોતાની યાત્રા વિશે માહિતી આપતા ગૌરવ હાંડાએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા દસ મહિનાથી સતત પદયાત્રા કરી રહ્યા છે. દિલ્હીથી શરૂ થયેલી આ યાત્રા પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ થઈને હવે ગુજરાતમાં પ્રવેશી છે. અત્યાર સુધીમાં તેમણે અંદાજે 8,500 કિલોમીટરનું અંતર પગપાળા કાપ્યું છે. મથુરા-વૃંદાવન ને ઓમકારેશ્વરના દર્શન કરીને ગિરનાર પહોંચ્યાતેમણે આ સફર દરમિયાન પંચ કેદાર, મણી મહેશ, કિન્નર કૈલાશ, બીજલી મહાદેવ, અંજની મહાદેવ અને નીલકંઠ મહાદેવ જેવા દુર્ગમ સ્થળોએ શિવ આરાધના કરી છે. આ ઉપરાંત મથુરા-વૃંદાવન અને ઓમકારેશ્વરના દર્શન કરીને તેઓ ગિરનાર પહોંચ્યા છે, જ્યાંથી તેઓ હવે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણે જશે. બાર જ્યોતિર્લિંગોનું જળ એકત્રિત કરી રહ્યા છેગૌરવ હાંડાની આ યાત્રા માત્ર દર્શન પૂરતી મર્યાદિત નથી, પરંતુ એક મોટો ધાર્મિક સંકલ્પ છે. તેમણે ગંગોત્રીથી પવિત્ર જળ લીધું છે અને માર્ગમાં આવતા તમામ બાર જ્યોતિર્લિંગોનું જળ પણ તેઓ એકત્રિત કરી રહ્યા છે. પશુપતિનાથ મહાદેવના ચરણે યાત્રા પૂર્ણઆ પદયાત્રા હજુ 20,000 કિલોમીટર સુધી ચાલશે. યાત્રાના અંતિમ ચરણમાં તેઓ કાશી વિશ્વનાથ અને ત્યારબાદ નેપાળમાં પશુપતિનાથ મહાદેવના ચરણે તમામ જ્યોતિર્લિંગોમાંથી એકઠા કરેલા જળનો જળાભિષેક કરીને પોતાની યાત્રા પૂર્ણ કરશે. નાનપણથી જ ભોળાનાથના ઉપાસક રહ્યા છેગૌરવ હાંડાએ પોતાના ભૂતકાળ વિશે વાત કરતા જણાવ્યું કે, તેઓ નાનપણથી જ ભોળાનાથના ઉપાસક રહ્યા છે. 15 વર્ષ પહેલા તેમના માતા-પિતા બ્રહ્મલીન થયા બાદ તેમણે સંપૂર્ણ સાંસારિક જીવન જીવી લીધું હતું. જીવનમાં સુખ-શાંતિ મેળવવા તમામ પ્રયત્નો કર્યા, પરંતુ ક્યાંય આત્મિક સંતોષ ન મળ્યો. અંતે મહાદેવની પ્રેરણાથી તેમણે આ પદયાત્રાનો નિર્ણય લીધો. 'ગુજરાતના લોકો ખૂબ જ માયાળુ અને સેવાભાવી છે'ગુજરાત અને જૂનાગઢ વિશેના પોતાના અનુભવો શેર કરતા ગૌરવભાઈએ જણાવ્યું કે, ગુજરાતના લોકો ખૂબ જ માયાળુ અને સેવાભાવી છે. જૂનાગઢ પહોંચતા જ તેમને જરાય અજાણ્યું લાગ્યું નથી. અહીં ભવનાથ તળેટીમાં ગુરુ ગૌરક્ષનાથ શેરનાથ બાપુના આશ્રમે તેમને રોકાણ અને ભોજનની સુંદર વ્યવસ્થા મળી હતી. આખા ગુજરાતમાં તેમને જે આદર અને સન્માન મળ્યું છે તેનાથી તેઓ ભાવવિભોર થયા છે. મારા મતે સનાતનનો મૂળ આધાર 'માનવતા' છે- હાંડાસનાતન ધર્મ અંગે પોતાના વિચારો રજૂ કરતા ગૌરવ હાંડાએ જણાવ્યું હતું કે, સનાતન એ માત્ર ધર્મ નથી, પણ જીવન જીવવાની એક કળા છે. શિવ નિરાકાર છે, આદિ અને અનંત છે. મારા મતે સનાતનનો મૂળ આધાર 'માનવતા' છે. જો માણસના હૃદયમાં માનવતા નથી, તો ગમે તેટલા ધર્મો પાળે તે વ્યર્થ છે. 'કુદરતમાં માત્ર બે જ જાતિ છે - સ્ત્રી અને પુરુષ'તેમણે ઉમેર્યું કે, સનાતન ધર્મમાં જ્ઞાતિ-જાતિના ભેદભાવને કોઈ સ્થાન નથી. કુદરતમાં માત્ર બે જ જાતિ છે - સ્ત્રી અને પુરુષ. તેઓ દરેક જીવમાં, પ્રાણીમાં અને કણ-કણમાં શિવના દર્શન કરે છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે, તમે ગમે તે સંપ્રદાય કે જાતિમાં માનતા હોવ, પણ જીવનમાં માનવતાને સર્વોચ્ચ સ્થાન આપજો, કારણ કે માનવતા હશે તો જ જીવનની 99% સમસ્યાઓનું નિરાકરણ આવી જશે.
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના શામળા ફળિયા પાસે આજે એક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બસમાં સવાર 11 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં બસ ચાલકની બેદરકારી સામે આવી છે. મળતી માહિતી મુજબ, આ લક્ઝરી બસ સુરતથી ધરમપુર આશ્રમ તરફ જઈ રહી હતી. ખેરગામના શામળા ફળિયા પાસેથી પસાર થતી વખતે આ અકસ્માત થયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બસનો ચાલક મોબાઈલ ફોન પર વાત કરી રહ્યો હતો, જેના કારણે તેણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને બસ ટ્રક સાથે અથડાઈ. અકસ્માતમાં ઘાયલ થયેલા 11 મુસાફરોમાં 6 મહિલાઓ, 2 પુરુષો અને 3 બાળકોનો સમાવેશ થાય છે. સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બસમાંથી મુસાફરોને બહાર કાઢવામાં મદદ કરી હતી. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, બસ ચાલકની બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના વાડજ વિસ્તારમાં રહેતા વૃદ્ધ સાથે ગઠિયાઓએ 5.55 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. ગઠિયાઓએ વૃદ્ધને ફોન કરીને કહ્યું હતું કે, અમારા ક્લોઝ પેમેન્ટની રકમ ભૂલથી તમારા બેંક એકાઉન્ટમાં આવી છે, તે રકમ પરત આપવાનું કહેતા વૃદ્ધ ગુગલ પે મારફતે રકમ પરત આપી હતી. વૃદ્ધે જ્યારે બેંકમાં તપાસ કરી ત્યારે તેમની સાથે ફ્રોડ થયાની જાણ થઈ હતી, જેથી તેમને સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. ઠગે ભૂલથી પૈસા ટ્રાન્સફર થયાનું કહ્યુંવાડજ વિસ્તારમાં રહેતા 74 વર્ષીય વૃદ્ધ નિવૃત્ત જીવન ગુજારે છે. 10 ફેબ્રુઆરીની રોજ તેમના મોબાઈલ પર અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો અને ફોન કરનારે કહ્યું હતું ,કે મારા મોબાઈલ ફોનમાંથી ભૂલથી ક્લોઝ પેમેન્ટની રકમ તમારા બેંક એકાઉન્ટમાં આવી છે. જે બાદ વૃદ્ધને મેસેજ જોવાનું કહેતા વૃદ્ધ મેસેજ પણ ચેક કર્યા હતાં, જેમાં 45,000 અને 50,500 રૂપિયા જમા થયા હોય તેવું લખ્યું હતું. વૃદ્ધે ગુગલ પેથી પૈસા પરત મોકલી લીધાજે બાદ ગઠિયાએ ફોન કરીને કહ્યું કે, રૂપિયા ભૂલથી તમારા એકાઉન્ટમાં આવી ગયા છે. આ રૂપિયા પાછા લેવા માટે મેં તમને ફોન કર્યો છે. હું તમને ગૂગલ પેમાં રિક્વેસ્ટ મોકલીશ તમે મને રૂપિયા પાછા આપજો. આ પછી ગત 10 ફેબ્રુઆરીએ વૃદ્ધના મોબાઈલમાં ગૂગલ પેમાં રિક્વેસ્ટ આવી હતી, જેમાં પહેલાં 45,500 રૂપિયા અને પછી 50,500 રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરીને રૂપિયા પાછા મોકલી દીધા હતા. બીજા દિવસે પણ મેસેજ બતાવી પૈસા ટ્રાન્સફર કરાવ્યાંબીજા દિવસે અગાઉની જેમ જ ફોન કરીને વૃદ્ધને એવું કહ્યું હતું કે, તમારા ખાતામાં ભૂલથી ક્લોઝ પેમેન્ટની રકમ આવી છે તે પાછી ગૂગલ પેમાં રિક્વેસ્ટ આવે એટલે આપી દેજો. આ પછી ઠગ દ્વારા ટ્રાન્ઝેક્શનના બે ટેક્સ્ટ મેસેજ પણ વૃદ્ધને મોકલવામાં આવ્યા હતા. જે બાદ ગૂગલ પેમાં રિક્વેસ્ટ આવતા વૃદ્ધે 98,500 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. આ દરમિયાન ચાલું ફોનમાં પણ રિક્વેસ્ટ આવતા વૃદ્ધે 98,500 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. આમ દર વખતે ઠગ દ્વારા વૃદ્ધને ફોન કરીને રૂપિયા તેમના એકાઉન્ટમાં આવી ગયા છે તે પાછા લેવા અલગ અલગ દિવસે ગૂગલ પેમાં રિક્વેસ્ટ મોકલીને ટ્રાન્ઝેક્શન કરાવીને કૂલ 5,55,976 રૂપિયા પડાવી લીધા હતા. વૃદ્ધે સામે ફોન કરતા બંધ આવ્યોઆમ વૃદ્ધને શંકા જતા બેન્ક સ્ટેટમેન્ટ જોતા જાણ થઈ હતી કે, ઠગ દ્વારા તેમના એકાઉન્ટમાં કોઈ રકમ આવી નથી. આ પછી બંને નંબર પર વૃદ્ધે રૂપિયા પાછા લેવા માટે ગઠિયાઓને ફોન ઉપાડ્યા નહોતા. વૃદ્ધે છેતરપિંડી થતી હોવાની જાણ થતાં તેમણે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના લોટેશ્વર ખાતે આવેલા પ્રાચીન લોટેશ્વર મહાદેવ મંદિરના વિકાસ માટે રજૂઆત કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ સદસ્ય, મીડિયા વિભાગના જયેશ દરજીએ પવિત્ર યાત્રાધામ વિકાસ મંત્રીને પત્ર લખીને આ મંદિરનો ગુજરાત યાત્રાધામ બોર્ડમાં સમાવેશ કરવા અને ધર્મશાળા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. દરજીએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે, પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મુજપુર ગામ નજીક આવેલું લોટેશ્વર મહાદેવ મંદિર વર્ષો જૂનું અને પૌરાણિક છે. આ મંદિર પાંડવોના સમયનું હોવાનું મનાય છે અને તેને લોહેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક અદ્ભુત, અલૌકિક અને ઐતિહાસિક સ્થળ છે. આ મંદિરે આસપાસના તેમજ દૂર-દૂરના વિસ્તારોમાંથી ભક્તો પોતાની બાધા-માનતા પૂરી કરવા આવે છે. પૌરાણિક કથા અનુસાર, ઘણા લોકો પોતાના પ્રથમ બાળકની બાબરી (ચૌલક્રિયા) વિધિ કરાવવા પણ અહીં આવે છે. દર વર્ષે પાટણ શહેરનો તળ પાટણ દરજી સમાજ અને ઉત્તર ગુજરાતનો મોદી સમાજ પગપાળા સંઘો લઈને અહીં દર્શનાર્થે આવે છે. આ યાત્રાળુઓની સુવિધા માટે મંદિરમાં તમામ પ્રકારની આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે જયેશ દરજીએ રજૂઆત કરી છે.
108 સેવા એલર્ટ પર:હોળી-ધૂળેટીમાં મહેસાણામાં ઇમર્જન્સી કેસોમાં 44% સુધીના વધારાની ભીતિ
આગામી 3 અને 4 માર્ચના રોજ ઉજવનારા હોળી અને ધૂળેટીના પર્વને ધ્યાનમાં રાખીને મહેસાણા જિલ્લામાં ઇમર્જન્સી સેવાઓ સજ્જ કરવામાં આવી છે. EMRI-108 સેવા દ્વારા કરવામાં આવેલા ડેટા વિશ્લેષણ મુજબ આ વર્ષે તહેવારના દિવસો દરમિયાન સામાન્ય દિવસોની સરખામણીએ ઇમર્જન્સી કેસોમાં નોંધપાત્ર ઉછાળો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મહેસાણા જિલ્લો રાજ્યના એવા જિલ્લાઓમાં સામેલ છે, જ્યાં કેસોનું પ્રમાણ સૌથી વધુ વધવાની શક્યતા છે. તહેવાર પર ઇમર્જન્સી કેસોમાં વધારો થવાની સંભાવનાઆંકડાકીય વિગતો મુજબ, મહેસાણા જિલ્લામાં સામાન્ય રીતે પ્રતિદિન સરેરાશ 95 ઇમર્જન્સી કેસ નોંધાતા હોય છે. જોકે 3 માર્ચે હોળીના દિવસે આ આંકડો વધીને 137 સુધી પહોંચવાની ધારણા છે. જે સામાન્ય દિવસો કરતા 44.21 ટકા જેટલો જંગી વધારો દર્શાવે છે. તેવી જ રીતે 4 માર્ચે ધૂળેટીના દિવસે પણ કેસોમાં 28.42 ટકાનો વધારો થવાની શક્યતા સાથે 122 જેટલા ઇમર્જન્સી કેસ નોંધાઈ શકે છે. અકસ્માત સહિતના બનાવો વધવાની સક્યતાંનિષ્ણાતોના મતે તહેવાર દરમિયાન ખાસ કરીને રોડ અકસ્માત, જૂથ અથડામણ કે શારીરિક મારામારી, ઊંચાઈ પરથી પડવાને કારણે થતી ઈજા, ટ્રોમા અને અન્ય ગંભીર તબીબી ઇમર્જન્સીમાં વધારો થતો હોય છે. સમગ્ર રાજ્યમાં હોળી-ધૂળેટી દરમિયાન કેસોમાં 12થી 44 ટકાનો વધારો થવાનો અંદાજ છે, જેમાં મહેસાણા જિલ્લામાં આ વધારો ઉચ્ચ સ્તરે રહેવાની સંભાવના સેવાઇ રહી છે. નાગરિકોને સુરક્ષિત રહેવા અપીલ108 સેવા દ્વારા નાગરિકોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે, તેઓ તહેવારની ઉજવણી સુરક્ષિત રીતે કરે. ખાસ કરીને વાહન ચલાવતી વખતે ગતિ મર્યાદાનું પાલન કરવું અને કેમિકલયુક્ત રંગો કે અતિરેક રંગબાજીથી દૂર રહેવું જોઈએ. કોઈપણ અણધારી ઘટના કે તબીબી કટોકટીના સમયે સમય બગાડ્યા વિના તાત્કાલિક 108 નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે, જેથી ત્વરિત સારવાર પૂરી પાડી શકાય.
કેશોદ શહેરમાં અંદાજે ₹1 કરોડના ખર્ચે નવનિર્મિત બગીચો અત્યારે જનતાના આકર્ષણનું કેન્દ્ર બનવાને બદલે રાજકીય વિવાદનું મેદાન બની ગયો છે. બગીચામાં સ્થાપિત કરવામાં આવેલી હનુમાનજીની ભવ્ય પ્રતિમાના કામમાં નબળી ગુણવત્તા અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે વિપક્ષે નગરપાલિકા સત્તાધીશોને આડેહાથ લીધા છે. બીજી તરફ, નગરપાલિકા પ્રમુખે આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી વળતો પ્રહાર કર્યો છે. ધર્મના નામે ભ્રષ્ટાચાર બંધ કરો : તાલુકા પંચાયત પ્રતિનિધિ અજાબ તાલુકા પંચાયતના પ્રતિનિધિ અને આમ આદમી પાર્ટીના અગ્રણી નિલેશભાઈ અઘેરાએ આ મામલે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે, કરોડોના ખર્ચે બનેલા બગીચામાં હનુમાનજીની મૂર્તિના પાયામાં અત્યંત નબળી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું છે. મૂર્તિના સિંહાસન પર લગાવવામાં આવેલી ટાઈલ્સ ટૂંકા જ સમયમાં ઉખડી ગઈ છે, જે સ્પષ્ટપણે ભ્રષ્ટાચારની સાક્ષી પૂરે છે.નગરપાલિકા પ્રમુખ એવો બચાવ કરી રહ્યા છે કે લાદી ઉખડી ન જાય તે માટે તેમણે પોતે ઉખેડી હતી, પણ વાસ્તવમાં આ કામ જ નબળું છે. સનાતન ધર્મમાં લોકોની અતૂટ આસ્થા જોડાયેલી હોય છે, ત્યારે આવા ધાર્મિક સ્થળોના નિર્માણમાં ગુણવત્તા સાથે બાંધછોડ કરવી એ શ્રદ્ધાનું અપમાન છે. ભ્રષ્ટાચાર કરવો હોય તો બીજે કરો, પણ ભગવાનના કામને તો બાકી રાખો. ભંડોળ સરકારી નથી, અંગત છે: નગરપાલિકા પ્રમુખ સામે પક્ષે કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયાએ મીડિયા સમક્ષ આવી તમામ આક્ષેપોનું ખંડન કર્યું છે. તેમણે પ્રતિમાના ખર્ચ અંગે મોટી સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, હનુમાનજીની આ પ્રતિમા અંદાજે ₹1,25,000 ના ખર્ચે તૈયાર કરવામાં આવી છે, પરંતુ આ માટે નગરપાલિકાના ભંડોળમાંથી એક પણ રૂપિયો લેવામાં આવ્યો નથી.આ પ્રતિમા મેં મારા અંગત (પ્રાઈવેટ) ખર્ચે સ્થાપિત કરાવી છે, તેથી ભ્રષ્ટાચારનો સવાલ જ ઊભો થતો નથી.ખંડિત સિંહાસન અને લાદીના વિવાદ પર તેમણે ખુલાસો કર્યો કે, નિરીક્ષણ દરમિયાન તેમને માર્બલમાં એક નાની તિરાડ દેખાઈ હતી. કામમાં ભવિષ્યમાં નુકસાન ન થાય તે માટે તેમણે પોતે જ કારીગરોને બોલાવીને તે ભાગ દૂર કરાવી નવેસરથી મજબૂત કામગીરી કરાવવાની સૂચના આપી હતી. રાજકીય ગરમાવો અને સનાતન ધર્મનો મુદ્દો મેહુલભાઈએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે શહેરમાં કુલ પાંચ પ્રતિમાઓનું અનાવરણ કરવામાં આવ્યું છે, જેમાં આખું શહેર ઉત્સાહભેર જોડાયું હતું. જે લોકો સનાતનની વાતો કરે છે તેઓ આવા કાર્યક્રમોમાં હાજર રહેતા નથી અને માત્ર ખોટા વિવાદો ઊભા કરે છે.આમ હાલમાં કેશોદમાં વિકાસના કામોમાં ગુણવત્તા અને શ્રદ્ધા વચ્ચેની આ લડાઈએ જોર પકડ્યું છે.
મોડાસા શહેરની માણેકબા સોસાયટીમાં ગત રાત્રિએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. તસ્કરો એક બંધ મકાનમાં પ્રવેશ્યા હતા, પરંતુ પાડોશીઓ જાગી જતાં તેઓ ભાગી છૂટ્યા હતા. પશ્ચિમ વિસ્તારમાં આવેલી માણેકબા સોસાયટીમાં ભાડુઆતનું એક બંધ મકાન નિશાન બન્યું હતું. તસ્કરો મકાનનો જાંપો કૂદીને અંદર પ્રવેશ્યા હતા.ઘરમાં ખખડાટ થતાં આસપાસના રહીશો જાગી ગયા હતા. બુમાબુમ થતાં તસ્કરો ચોરી કર્યા વિના જ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે.
હીરાનગરી અને ટેક્સટાઈલ હબ તરીકે જાણીતું સુરત શહેર આજે ફરી એકવાર મિની ભારતનો નઝારો રજૂ કરી રહ્યું છે. હોળી અને ધુળેટીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સુરતમાં રોજગારી અર્થે વસતા પરપ્રાંતીય શ્રમિકો અને કારીગરોમાં પોતાના વતન પહોંચવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા અભૂતપૂર્વ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આજે 1 માર્ચને રવિવારના વહેલી સવારથી જ ઉધના રેલવે સ્ટેશન 'મિની બિહાર'માં ફેરવાઈ ગયું હતું. હજારોની સંખ્યામાં લોકો પોતાના પરિવાર અને સામાન સાથે વતન જવા માટે સ્ટેશન પર ઉમટી પડ્યા હતા. 'અંત્યોદય એક્સપ્રેસ'માં સૌથી વધુ ભીડ જોવા મળીશ્રમિક વર્ગ માટે આશીર્વાદ સમાન ગણાતી 'અંત્યોદય એક્સપ્રેસ'માં આજે સૌથી વધુ ભીડ જોવા મળી હતી. આ સંપૂર્ણ જનરલ કોચ ધરાવતી ટ્રેનમાં પગ મૂકવાની પણ જગ્યા નહોતી. તેવી જ રીતે, આધુનિક સુવિધાઓથી સજ્જ 'અમૃત ભારત' ટ્રેનમાં પણ મુસાફરોનો ભારે ધસારો રહ્યો હતો. રેલવે સુરક્ષા દળ અને જીઆરપીના જવાનોએ શાંતિપૂર્ણ રીતે લોકોને ટ્રેનમાં બેસાડવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. વધારાના કોચ અને સ્પેશિયલ ટ્રેનોનું આયોજનડી.આર.એમ. પંકજ સિંહે વધુમાં ઉમેર્યું હતું કે, અમે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. જો મુસાફરોની સંખ્યા હજુ વધશે, તો અમારી પાસે વધારાના કોચ (રેક) મેન્ટેનન્સ સાથે સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. જરૂર પડ્યે તાત્કાલિક ધોરણે વધારાની સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવવામાં આવશે. સાંજના સમયે રક્સૌલથી આવતી ટ્રેનો જે અહીંથી પરત ફરવાની છે, તેમાં પણ મુસાફરોને વતન મોકલવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉધના સ્ટેશન પર પીવાના પાણી, પ્રાથમિક આરોગ્ય અને હેલ્પ ડેસ્ક જેવી સુવિધાઓ કાર્યરત કરવામાં આવી છે જેથી કરીને આ કાળઝાળ ગરમીમાં મુસાફરોને હાલાકી ન ભોગવવી પડે. તહેવાર તો પરિવાર સાથે જ ઉજવવાની મજા આવેઃ મુસાફરવતન જઈ રહેલા એક મુસાફરે જણાવ્યું કે, સુરત અમને રોજીરોટી આપે છે, પણ હોળીનો તહેવાર તો વતનમાં પરિવાર અને મિત્રો સાથે જ ઉજવવાની મજા આવે છે. ટ્રેનમાં ભીડ તો ઘણી છે, પણ રેલવેની આ સ્પેશિયલ ટ્રેનોને કારણે અમને ટિકિટ મળી ગઈ અને અમે ઘરે પહોંચી શકીશું તેનો આનંદ છે. રેલવેના પ્લાનિંગથી અંધાધૂંધી ટળીસુરતના કાપડ ઉદ્યોગ અને બાંધકામ ક્ષેત્રે જોડાયેલા હજારો શ્રમિકો દર વર્ષે હોળી પર સામૂહિક રીતે વતન જાય છે, જેના કારણે સુરત રેલવે સ્ટેશન અને ઉધના રેલવે સ્ટેશન પર દર વર્ષે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે. જોકે, આ વર્ષે રેલવે તંત્રએ એડવાન્સ પ્લાનિંગ કરીને અંધાધૂંધી ટાળવાનો પૂરો પ્રયાસ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળી અને છઠ પર જે રીતે મુસાફરોની લાઈનો લાગી હતી તેના પરથી બોધ પાઠ લઈને હોળી અને ધુળેટીના તહેવાર પર આગોતરું આયોજન કરીને રેલવે વિભાગે સરળતાથી લોકો અને પોતાના માર્ગરે વતન રવાના કર્યા હતા.
ભાવનગર વરતેજ પોલિસે શામપરા સીદસર નજીક પાળા પાસે દરોડો પાડી ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં હારજીતનો જુગાર રમતા 5 ગેમ્બલરોને પોલીસે રોકડ સહિત મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. તમામ વિરુદ્ધ વરતેજ પોલીસ મથકમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જાહેરમાં જુગાર રમતા જુગારીઓને રંગેહાથ ઝડપ્યાઆ અંગે વરતેજ પોલિસ મથકેથી મળતી માહિતી અનુસાર, વરતેજ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, વરતેજના શામપરા સીદસર નજીક પાળા પાછળ ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેર જગ્યામાં કેટલીક વ્યક્તિઓ જાહેરમાં ગંજીપત્તાના પાના વડે હાર-જીતનો જુગાર રમે છે. જે પોલીસને મળેલી બાતમી આધારે સ્થળ પર રેડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પવન પ્રવિણભાઇ મકવાણા, જીતુ પોપટભાઈ પરમાર, ઇરફાન અલીભાઈ શેખ, વશરામ બાબુભાઇ ગોહિલ, મુકેશ વલ્લભભાઈ પરમારને ગંજીપત્તા અને રોકડ રૂ. 12,700 સાથે ઝડપી પાડવામાં આવ્યા. કુલ 12,700નો મુદામાલ પોલીસે કબ્જે કરી અને શખ્સો વિરુદ્ધ વરતેજ પોલિસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
બોટાદ નગરપાલિકા દ્વારા એક સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો 2 માર્ચ, 2026 ના રોજ યોજાશે. મેળાનું આયોજન બોટાદ શહેરના પાળીયાદ રોડ પર આવેલા જલમીન ટોકીઝ પાસે રાજુ જીન (ખાતે કરવામાં આવ્યું છે. નગરપાલિકાએ સ્વદેશી કલાકૃતિ બનાવનાર કલાકારો, સ્વદેશી વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓ અને સખી મંડળની બહેનોને આ મેળામાં જોડાવા માટે ખાસ અપીલ કરી છે. નાગરિકોને પણ મોટી સંખ્યામાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
આણંદ જિલ્લાના 54 પ્રાથમિક શિક્ષકો માટે ભારત સરકારની ‘PM SHRI’ યોજના હેઠળ આયોજિત છ દિવસીય આંતરરાજ્ય 'એક્સપોઝર વિઝિટ' સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. આ પ્રવાસમાં શિક્ષકોએ મહારાષ્ટ્રની આધુનિક શિક્ષણ પદ્ધતિ અને ટેકનોલોજીનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. અર્ચના પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આ પ્રવાસ યોજાયો હતો. સમગ્ર સફર દરમિયાન જિલ્લા OIC નીતિન પટેલે શિક્ષકોને સતત પ્રોત્સાહિત કરી ઉત્તમ સુવિધાઓ પૂરી પાડી હતી, જેથી આ પ્રવાસ જ્ઞાનવર્ધક બની રહ્યો. શૈક્ષણિક પ્રવાસ દરમિયાન શિક્ષકોએ પુણેની એક આદર્શ શાળાની મુલાકાત લીધી હતી. અહીં તેમણે નાસા (NASA) જઈ આવેલી તેજસ્વી વિદ્યાર્થિની રુદ્રા રાજગુરે સાથે સંવાદ કર્યો. આ સંવાદ દ્વારા શિક્ષકોએ વિજ્ઞાન ક્ષેત્રે બાળકોને પ્રોત્સાહિત કરવાની કળા શીખી. આ ઉપરાંત, સારોલે પઠારની પીએમ શ્રી શાળામાં લોકભાગીદારીથી નિર્મિત આધુનિક રોબોટિક લેબ અને સાયન્સ ટેકનોલોજી સેન્ટર નિહાળી શિક્ષકો અત્યંત પ્રભાવિત થયા. સરકારી શાળાઓમાં ટેકનોલોજીનો આવો વિશિષ્ટ ઉપયોગ આણંદના શિક્ષકો માટે એક નવો અને પ્રેરણાદાયી દ્રષ્ટિકોણ સાબિત થયો. શિક્ષણની સાથે શિક્ષકોએ પ્રતાપગઢની શૌર્યગાથા અને મહાબળેશ્વરમાં પાંચ નદીઓના ઉદ્ગમ સ્થાન વિશે ઐતિહાસિક અને ભૌગોલિક જાણકારી મેળવી. તેમણે આધુનિક સ્ટ્રોબેરીની ખેતીના પ્રત્યક્ષ પાઠ શીખ્યા અને ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ તેમજ શનિ શિંગણાપુરના દર્શન કરી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો. 28 ફેબ્રુઆરીએ આણંદ પરત ફરેલા શિક્ષકો હવે મહારાષ્ટ્રની આ નવી શિક્ષણ પદ્ધતિઓને પોતાના વર્ગખંડોમાં અમલી બનાવી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કાર્ય કરશે. રાકેશકુમાર સોલંકી સહિતના તમામ શિક્ષકોએ આ તકે જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો.
જલાલપોર ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે, આ સરકારી કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય અને નારાજ કાર્યકરોની ગેરહાજરીએ જિલ્લાના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક ગજગ્રાહ હવે જાહેરમાં આવતા સંગઠન સામે સવાલો ઊભા થયા છે. વિકાસકાર્યોની રૂપરેખા જલાલપોર તાલુકાના સર્વાંગી વિકાસ માટે કુલ 26 કરોડના ખર્ચે વિવિધ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, તાલુકા સેવા સદન: 8 કરોડના ખર્ચે નિર્માણ પામનાર નૂતન ભવનનું ભૂમિપૂજન. ખારાશ નિયંત્રણ: દરિયાઈ ખારાશ રોકવા માટે ચેકડેમ કમ ટાઇડલ રેગ્યુલેટર ડેમનું નિર્માણ. વિકાસ વાટિકા: વર્ષ 2024-25 ની સિદ્ધિઓ વર્ણવતી પુસ્તિકાનું મહાનુભાવો દ્વારા વિમોચન. આ કાર્યક્રમમાં રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ અને નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંગઠનમાં વિખવાદની સીધી અસરવિકાસના આ કાર્યક્રમ વચ્ચે જલાલપોર ભાજપમાં ચાલી રહેલો અસંતોષ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. સ્થાનિક ધારાસભ્ય આર.સી. પટેલ અને તેમના જૂથના કોઈ પણ સમર્થકો કે અગ્રણીઓ કાર્યક્રમમાં ડોકાયા નહોતા. ગેરહાજરીનું કારણ: જિલ્લા ભાજપ સંગઠનની નવી નિમણૂકોમાં પક્ષપાત થતો હોવાના આક્ષેપ સાથે કાર્યકરોએ મોરચો માંડ્યો છે. અગાઉ સામૂહિક રાજીનામાં આપનારા જલાલપોર તાલુકા પંચાયતના સભ્યો પણ આ કાર્યક્રમથી દૂર રહ્યા હતા, જે દર્શાવે છે કે પાયાના કાર્યકરો અને જિલ્લા સંગઠન વચ્ચેની ખાઈ વધુ ઊંડી થઈ છે. કેન્દ્રીય મંત્રીની હાજરીમાં જ સ્થાનિક નેતાગીરીના આ બહિષ્કારે આગામી દિવસોમાં રાજકીય ગરમાવો વધવાના સંકેત આપ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ખાટડી ગામે ખેડૂત આગેવાન રાજુ કરપડાએ મોડી રાત્રે કિસાન ક્રાંતિ સભા યોજી હતી. આમ આદમી પાર્ટી (AAP) માંથી રાજીનામું આપ્યા બાદ આ તેમની બીજી સભા હતી. આ સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. રાજુ કરપડા પોતાની શક્તિ પ્રદર્શન કરી રહ્યા હોય તેમ વારંવાર સભાઓ યોજી રહ્યા છે. આ પહેલા તેમણે મુળીના ગઢાડ ગામે પ્રથમ સભા યોજી હતી. સભા દરમિયાન રાજુ કરપડાએ ખેડૂતો પાસેથી કયા પક્ષમાં જોડાવું તે અંગે સૂચનો માંગ્યા હતા. જોકે, હાજર ખેડૂતોએ જણાવ્યું હતું કે તેઓ જે પક્ષમાં જાય તે તેમને મંજૂર છે. પોતાના પ્રવચન દરમિયાન રાજુ કરપડાએ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોની આલોચના કરી હતી. તેમણે સિંચાઈનું પાણી, ખેતરોમાંથી પસાર થતી હાઈ ટેન્શન લાઈનના થાંભલા માટે પૂરતું વળતર ચૂકવવું, સહિતના ખેડૂતોના અનેક પ્રશ્નો સરકાર સમક્ષ રજૂ કરવાની વાત કરી હતી. કરપડાએ જણાવ્યું હતું કે, જો ભાજપ સરકાર ખેડૂતોની માંગણીઓ નહીં સ્વીકારે તો તેઓ સતત આઠ વર્ષથી ભાજપ સામે લડ્યા છે અને આવનારા દિવસોમાં પણ પૂરી તાકાતથી લડશે. તેમણે એમ પણ કહ્યું કે જો સરકાર માંગણીઓ નહીં સ્વીકારે તો કોંગ્રેસ પક્ષમાં જઈને પણ લડત લડશે, અથવા બંને પક્ષોમાં નહીં જાય તો જગતના તાત ખેડૂતો સાથે રહીને સરકાર સામે લડશે. આવનારા સમયમાં રાજુ કરપડા ભાજપનો કેસરીયો ધારણ કરે છે કે પછી કોંગ્રેસનો પંજો પકડે છે, તે જોવું રહ્યું.
સરકારે નગરપાલિકાઓ માટે જમીન માપદંડ નક્કી કર્યા:ટાઉનહોલ સહિત 11 સુવિધા માટે જમીનની જરૂરિયાત નિર્ધારિત
રાજ્ય સરકારે નગરપાલિકાઓ માટે ટાઉન હોલ (મલ્ટીપર્પઝ હોલ) સહિત 11 આવશ્યક નાગરિક સુવિધાઓ માટે જમીનના માપદંડો નક્કી કર્યા છે. શહેરી અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આ નિર્ણય લેવાયો છે, જેથી નગરપાલિકાઓ પાસે પોતાની માલિકીની જમીન ન હોવા અને જમીનની કિંમત ચૂકવવા ભંડોળની તંગી હોવા છતાં લોકહિતના વિકાસ કાર્યો અટકે નહીં. નવા માપદંડો મુજબ, ટાઉન હોલ માટે 500 લોકોની ક્ષમતા માટે 1000 થી 2000 ચોરસ મીટર, 750 લોકોની ક્ષમતા માટે 2000 થી 3000 ચોરસ મીટર અને 1000 લોકો સુધીની ક્ષમતા માટે 3000 થી 4000 ચોરસ મીટર જમીન જરૂરી છે. 'અ' વર્ગની પાટણ નગરપાલિકા જો કન્વેન્શન સેન્ટર બનાવવા માંગે તો 6500 થી 7000 ચોરસ મીટર જમીન હોવી જોઈએ. પાટણ શહેરના પશ્ચિમ વિસ્તારમાં નવા ટાઉન હોલની માંગણી ઉઠી છે, જેના માટે 3000 થી 4000 ચોરસ મીટર સરકારી પડતર જમીનની જરૂરિયાત છે. અગાઉ, પાટણના પૂર્વ વિસ્તારમાં રૂ. 16 કરોડના ખર્ચે ટાઉન હોલ બનાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને કામ શરૂ થવાની રાહ જોવાઈ રહી છે. સરકારના નિયમ મુજબ, પાટણ સહિતની નગરપાલિકાઓ ટાઉન હોલ અથવા કન્વેન્શન સેન્ટરના બાંધકામ પૈકી કોઈપણ એક હેતુ માટે જ દરખાસ્ત કરી શકશે. જોકે, 'અ' વર્ગની પાટણ નગરપાલિકા વધુમાં વધુ બે યુનિટ માટે દરખાસ્ત કરી શકે છે. મહેસૂલ વિભાગના ઠરાવ મુજબ, નગરપાલિકા વિસ્તારમાં 11 આવશ્યક નાગરિક સુવિધાઓ માટે સરકારી પડતર અથવા ગૌચર જમીન ફાળવવાનું નક્કી કરાયું છે. આ 11 હેતુઓમાં નગર સેવાસદન, ફાયર સ્ટેશન, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ભૂગર્ભ ગટર ડ્રેનેજ, વોટર સપ્લાય પ્રોજેક્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ, સ્ટ્રોમ વોટરની કામગીરી અને ટાઉન હોલનો સમાવેશ થાય છે. પાટણ પાલિકા પાસે ઉપરોક્ત તમામ 11 હેતુઓ લગભગ સંતોષાયેલા છે, પરંતુ પશ્ચિમ વિસ્તારમાં નવા ટાઉન હોલની માંગણી સંતોષવા માટે 1000 થી 5000 ચોરસ મીટર જમીનનો માપદંડ જરૂરી છે.
28 ફેબ્રુઆરીને શનિવારે સવારે (ભારતીય સમય મુજબ) ઇઝરાયલે ઇરાનની રાજધાની તેહરાન સહિત અનેક શહેરો પર હુમલો કર્યો. જેના વળતા જવાબમાં, ઇરાને ઇઝરાયલ પર બદલો લેવા માટે કતાર, બહેરીન અને કુવૈત જેવા સાત દેશો પર આશરે 400 મિસાઇલો છોડી હતી. બહેરીનમાં હાલ તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે. બહેરીનની રાજધાની મનામા અને તેની આસપાસના વિસ્તારોમાં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટને કારણે ત્યાં રહેતા ગુજરાતીઓમાં ફફડાટ ફેલાયો છે. વડોદરાથી પવિત્ર રમઝાન માસ દરમિયાન મક્કા-મદીના ખાતે ઉમરાહની બંદગી કરવા ગયેલા ફારૂક સોનીએ 'દિવ્ય ભાસ્કર' સાથેની ખાસ વાતચીતમાં ત્યાંની પરિસ્થિતિ સાથે ચિંતા વ્યક્ત કરી હતી. ઈરાન એરસ્પેસ પરના પ્રતિબંધો વચ્ચે 410 ફ્લાઈટ્સ રદદુબઈ એરસ્પેસ બંધ થવાની અસર ભારત પર જોવા મળી છે. ઈરાન એરસ્પેસ પરના પ્રતિબંધો વચ્ચે 410 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. ભારતે પશ્ચિમ એશિયા એરસ્પેસ પરના પ્રતિબંધોને કારણે 400થી વધુ ફ્લાઈટ્સ રદ કરી. દુબઈ દરરોજ 2000થી વધુ ફ્લાઈટ્સ હેન્ડલ કરે છે. ગલ્ફ રિજન એશિયા-યુરોપ-આફ્રિકા-નોર્થ અમેરિકાને જોડતો એક મહત્વપૂર્ણ એવિએશન કોરિડોર છે. ઈન્ડિગોએ અલ્માટી, બાકુ, તાશ્કંદ, ત્બિલિસીની ફ્લાઈટ્સ રદ કરી છે. આ સસ્પેન્શન 28 માર્ચ સુધી લંબાવવામાં આવ્યું છે. રવિવારે સતત બીજા દિવસે પણ અમેરિકા અને ઇઝરાયલના ઇરાન પર હુમલા ચાલુ છે. ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે મિડલ ઈસ્ટમાં પરિસ્થિતિ ઝડપથી બગડી ગઈ છે. વિમાન સેવા બંધ થવાની અસર દુબઈથી ભારત સુધી અનુભવાઈ રહી છે. ગુજરાતના અંદાજે 700થી 800 લોકો મક્કામાં હાજરઆ દરમિયાન પવિત્ર રમઝાન માસ દરમિયાન મક્કા-મદીના ખાતે ઉમરાહની બંદગી માટે ગયેલા ગુજરાતના યાત્રાળુઓ હાલમાં યુદ્ધની ગંભીર સ્થિતિને કારણે ચિંતામાં મુકાયા છે. વડોદરાના યાત્રાળુ ફારૂકભાઈ સોનીએ મક્કાથી એક વીડિયો સંદેશ મોકલીને ત્યાંની વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી. હાલમાં ગુજરાતના અંદાજે 700થી 800 લોકો મક્કામાં હાજર છે, જેઓ યુદ્ધના કારણે સર્જાયેલા તણાવ અને મુસાફરીમાં આવતા અવરોધોને પગલે પોતાના વતનમાં રહેલા પરિવારજનો માટે પણ ચિંતિત છે. 'મક્કામાં ફસાયેલા લોકોના સગા વ્હાલા ચિંતિત છે'ફારૂક સોનીએ મક્કાથી મોકલેલા વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, અત્યારે પવિત્ર રમઝાન માસ ચાલુ છે અને હું બંદગી કરવા બે દિવસથી મક્કામાં આવ્યો છું. સાથે અહીં ગુજરાતના 700થી 800 લોકો છે અને બીજા જે આજે આવવાના હતા તે યુદ્ધની પરિસ્થિતિના કારણે આવી નથી શક્યા. હોટલની અંદર લોકો ચિંતિત છે, કોઈના સગા વ્હાલા આવવાના બાકી છે તેઓ તેમની દવા લઈને આવવાના હતા તે પણ આવી નથી. સાઉદીની મક્કામાં અત્યારે જલ્દી યુદ્ધ બંધ થાય અને લોકોને કોઈ મુશ્કેલી ન થાય તેવી દુઆઓ ચાલુ છે. યુદ્ધના કારણે અમે ખૂબ જ ચિંતિત અને ગભરાયેલા છીએઅન્ય ફસાયેલા એક ભારતીયએ વીડિયો સંદેશ આપતા જણાવ્યું હતું કે, મારું નામ ઇકરામ છે અને અમે મુંબઈથી આવ્યા છીએ. અમે અહીં પવિત્ર 'ઉમરાહ'ની યાત્રા પૂર્ણ કરવા માટે આવ્યા છીએ. અચાનક અમારી ફ્લાઈટ રદ્દ કરી દેવામાં આવી છે. આના કારણે અમે ખૂબ જ ચિંતિત અને ગભરાયેલા છીએ. હજુ ઘણા હાજ યાત્રીઓ આવવાના છે. જો ફ્લાઈટ સેવા આ રીતે જ બંધ રહેશે, તો આગળ શું થશે અને યાત્રીઓનું શું થશે, તે અંગે અત્યારે કંઈ જ સમજાતું નથી. અત્યાર સુધી અમને આ બાબતે કોઈ જ લેટેસ્ટ અપડેટ કે માહિતી મળી નથી, જેના કારણે અનિશ્ચિતતાનો માહોલ છે. મક્કા મુહમ્મદ પયગંબરનું જન્મસ્થળમક્કાજે સત્તાવાર રીતે મક્કા અલ-મુકરમાહ તરીકે ઓળખાય છેતે સાઉદી અરેબિયાના હેજાઝી પ્રદેશમાં આવેલું ઇસ્લામનું સૌથી પવિત્ર શહેર અને મુહમ્મદ પયગંબરનું જન્મસ્થળ છે. આ શહેર મક્કા પ્રાંતની રાજધાની છે અને દર વર્ષે લાખો મુસ્લિમો હજ યાત્રા માટે અહીં આવે છે. 'જેદાહ એરપોર્ટ પર ફસાયેલા લોકોને ભારત સલામત રીતે લાવવાની વ્યવસ્થા કરવામાં આવે'જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કહ્યું હતું કે, અમદાવાદ અને ગુજરાતના અન્ય શહેરોમાંથી રમઝાન ઉમરાહ માટે ગયેલા યાત્રીકો જેદાહ એરપોર્ટ પર ફસાયેલા છે. જેઓને પરત લાવવા માટે સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે. પીએમને હું વિનંતી કરું છું કે,તમે તાત્કાલીક વિદેશ મંત્રાલયનો સંપર્ક કરી તેઓને ભારત લાવવાની વ્યવસ્થા કરવામાં આવે. ત્યાં ફસાયેલા લોકો અને અહં તેના પરિવારજનો ચિંતિત છે.
પ્રભાસ પાટણમાં 24 કલાકમાં 6 પ્રસુતિ, 3 ઓપરેશન:સામૂહિક આરોગ્ય કેન્દ્રની ટીમની સરાહનીય કામગીરી
સોમનાથ-પ્રભાસ પાટણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડોક્ટર નયન કછોટ અને તેમની ટીમે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. છેલ્લા 24 કલાકમાં અહીં 6 સલામત પ્રસુતિઓ અને 3 સ્ત્રીરોગ સંબંધિત ઓપરેશનો સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા છે. એક નાના આરોગ્ય કેન્દ્રમાં આટલી મોટી સંખ્યામાં કેસ સંભાળવા પડકારજનક હતા. તેમ છતાં, ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફે નોકરીનો સમય પૂર્ણ થયા બાદ પણ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક ચાલુ રાખી હતી. તેમણે દાખલ થયેલ બહેનોની કાળજી લીધી અને સુરક્ષિત સારવાર સુનિશ્ચિત કરી. આ સફળ કામગીરીને કારણે હોસ્પિટલના વોર્ડમાં નવજાત શિશુઓના કિલકિલાટ અને પરિવારજનોના ઉત્સાહથી ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. પ્રભાસ પાટણ જેવા નાના શહેરમાં આ પ્રકારની તાત્કાલિક અને ગુણવત્તાસભર સેવા ઉપલબ્ધ થવી સ્થાનિક નાગરિકો માટે અત્યંત લાભદાયી સાબિત થઈ છે. આ કામગીરીથી ગુજરાતના આરોગ્યતંત્રની સકારાત્મક છાપ ઊભી થઈ છે. દર્દીઓએ દવાખાનાની સેવાઓ પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો છે. ડોક્ટરો અને સ્ટાફે ફરજનિષ્ઠા, સેવાભાવ અને પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
માલવણ મંડલ હિન્દુ સંમેલન સમિતિ દ્વારા માલવણમાં હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં પીપળી ધામ જગ્યાના મહંત ભક્તરાજ વાસુદેવ મહારાજ, ગેડીયા જગ્યાના ભાવી મહંત ભગવાનદાસ બાપુ અને અખિયાણા સતનામ જગ્યાના મહંત રણછોડદાસ બાપુ ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુ જાગરણ મંચના સંયોજક અર્જુનસિંહ મકવાણા મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતા. પૂજ્ય સંતોએ સમાજ જાગરણ પર ભાર મૂક્યો હતો. તેમણે કુટુંબમાં એકતા, ધાર્મિક વાતાવરણનું નિર્માણ, જાતિગત ભેદભાવ દૂર કરવા, તેમજ દેશપ્રેમી અને પર્યાવરણપ્રેમી બનવા માટે સમાજને આહવાન કર્યું હતું. મુખ્ય વક્તા અર્જુનસિંહ મકવાણાએ સમાજને એકતા જાળવી રાખવા, શક્તિશાળી બનવા અને હિન્દુ વિરોધી તમામ ગતિવિધિઓનો એક બની પ્રતિકાર કરવા જણાવ્યું હતું. આ સંમેલનમાં માલવણ અને આસપાસના 10 ગામોમાંથી કુલ 1300 જેટલા લોકો, જેમાં માતાઓ, વડીલો, ભાઈઓ, બહેનો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉમા સંકુલ માલવણ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે, સૌએ સાથે મળીને ભારતમાતાની આરતી કરી અને ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના નિર્દેશ હેઠળ એક વિશેષ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત 28 ફેબ્રુઆરી, 2026ના રોજ યોજાયેલી આ ડ્રાઇવ દરમિયાન 831 વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને નિયમભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ ડ્રાઇવમાં મોટર વાહન અધિનિયમ (M.V. Act) કલમ-207 હેઠળ 27 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, કેફી પીણું પીધેલી હાલતમાં વાહન ચલાવતા 12 શખ્સો સામે કલમ-185 હેઠળ કેસ નોંધવામાં આવ્યા હતા. કારમાં બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગરના વાહનો અને ફેન્સી નંબર પ્લેટ ધરાવતા કુલ 123 કેસ કરવામાં આવ્યા હતા. મોટર વાહન અધિનિયમ હેઠળ 79 કેસમાં કુલ 68,500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત, હથિયારબંધીના જાહેરનામા ભંગના 5 કેસ અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ પણ ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. આ કામગીરીમાં મદદનીશ પોલીસ અધિક્ષક (લાલપુર વિભાગ), નાયબ પોલીસ અધિક્ષક (શહેર/ગ્રામ્ય), એલ.સી.બી., એસ.ઓ.જી., ટ્રાફિક શાખા તેમજ તમામ પોલીસ સ્ટેશનના પી.આઈ. અને પી.એસ.આઈ. સહિતનો સ્ટાફ જોડાયો હતો.
ધીરજરામબાપાની 93મી જન્મજયંતી ઉજવાઈ:લીંબડીયાના સાત હનુમાન આશ્રમ ખાતે ભક્તોએ શ્રદ્ધાંજલિ અર્પી
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના લીંબડીયા ગામ નજીક આવેલા સાત હનુમાન આશ્રમ ખાતે આશ્રમના મહંત સ્વર્ગસ્થ ધીરજરામબાપાની 93મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે આશ્રમ દ્વારા રામધૂન અને સંતવાણીનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ધીરજરામબાપાને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ઉજવણીના ભાગરૂપે સંતો-મહંતો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં ધર્મસભા યોજાઈ હતી. આ સભામાં બાપાના જીવનચરિત્ર પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઉગામેડી ગામે બસ સ્ટેન્ડ પાસે પાર્કિંગ મુદ્દે મારામારીની ઘટના બની છે. ભૈરવનાથ પાવભાજીના દુકાનદાર રાજુભાઈ જાટ પર ત્રણ લોકોએ હુમલો કર્યો હોવાનો આરોપ છે. રાજુભાઈ જાટના જણાવ્યા અનુસાર, તેમની દુકાન સામે કાર પાર્ક કરવા બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ હિંમતભાઈ નાગજીભાઈ, તેમના પુત્ર લાલાભાઈ ઉર્ફે લાલો અને તેમની પત્નીએ મળીને તેમના પર હુમલો કર્યો હતો. આરોપ મુજબ, લાલાભાઈએ પ્લાસ્ટિકની પાઇપ વડે રાજુભાઈને માર માર્યો હતો, જ્યારે હિંમતભાઈએ તેમનો કાઠલો પકડીને લાફા માર્યા હતા. હુમલા દરમિયાન તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ ઘટના અંગે રાજુભાઈ જાટે ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બી.એન.એસ. કલમ 115(2), 352, 351(3), 54 તથા જી.પી. એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
યુદ્ધ વચ્ચે ઈરાન-ઈઝરાયલ સહિત 6 દેશોના વિદેશમંત્રીઓ સાથે જયશંકરની ટેલિફોનિક વાતચીત, તણાવ ઘટાડવા અપીલ
India Diplomacy: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધી રહેલા સૈન્ય સંઘર્ષે સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો કર્યો છે. મધ્ય પૂર્વમાં સર્જાયેલી આ ગંભીર સ્થિતિ વચ્ચે ભારત 'બેલેન્સિંગ એક્ટ' ની વ્યૂહરચના સાથે મેદાનમાં ઉતર્યું છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે છેલ્લા 24 કલાકમાં ઈરાન અને ઈઝરાયલ સહિત કુલ 6 દેશોના વિદેશ મંત્રીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી તણાવ ઘટાડવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે. ઈઝરાયલ અને ઈરાન સાથે સીધો સંવાદ
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સિંણધઈ ગામે પૈતૃક જમીન વિવાદે જોર પકડ્યું છે. આ મામલે ફરિયાદી સાધના પટેલે પ્રદેશ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. સાધના પટેલે દાવો કર્યો છે કે તેમને અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. સાધના પટેલે એક વીડિયો જાહેર કરીને આક્ષેપ કર્યો છે કે તેમના દાદાની જમીન પહેલા તેમના સાવકા કાકાએ અને ત્યાર બાદ ધારાસભ્ય અનંત પટેલે પચાવી પાડી છે. ગઈકાલે આ વિવાદિત જમીન પર ધારાસભ્ય અનંત પટેલના પત્ની વૈશાલીબેન સફાઈ કરતા જોવા મળ્યા હતા. જ્યારે સાધનાબેને તેમને ત્યાં આવવાની મનાઈ કરી, ત્યારે વૈશાલીબેને જમીનના કાગળો બતાવવાનું કહ્યું. આ મામલે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. સાધના પટેલે વીડિયોમાં પ્રશ્ન ઉઠાવ્યો છે કે, જો ધારાસભ્ય અનંત પટેલે મામલતદાર સમક્ષ નિવેદનમાં સ્વીકાર્યું હોય કે આ જમીન કે ત્યાં બનેલું મકાન તેમનું નથી, તો પછી તેમના પત્ની વૈશાલી પટેલ વારંવાર તે જમીન પર શા માટે આવે છે અને ખેતી શા માટે કરે છે? આ બાબત અનેક શંકાઓ ઊભી કરે છે. આ વિવાદ હવે પોલીસ મથકે પહોંચ્યો છે. સાધના પટેલે વાંસદા પોલીસ સ્ટેશનમાં વૈશાલી પટેલ સહિત રાજુ, કલાવતી, હેતલ અને કિંજલ સામે વિધિવત ફરિયાદ નોંધાવી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. સાધના પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, જો ભવિષ્યમાં તેમને કે તેમના પરિવારને કંઈ પણ થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી ધારાસભ્ય અનંત પટેલની રહેશે.
મોરબીમાં શનિવારની રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા 15 જેટલી કારના કાચ તોડવામાં આવ્યા હતા. આ ઘટના સનાળા રોડ, છાત્રાલય રોડ અને મુનનગર સહિતના પોશ વિસ્તારોમાં બની હતી. અગાઉ પણ મોરબીમાં રાત્રિ દરમિયાન વાહનોના કાચ તોડવા, ટાયર કે સ્પેરપાર્ટ્સની ચોરી કરવી અથવા વાહન ચોરી જેવી ઘટનાઓ બની ચૂકી છે. શનિવારે રાત્રે, સનાળા રોડ, કન્યા છાત્રાલય રોડ અને મુનનગર ચોક સહિતના વિસ્તારોમાં લોકોએ ઘરની બહાર પાર્ક કરેલા વાહનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. સ્થાનિક રહીશો અતુલભાઈ જાની અને મેહુલભાઈ ગાંધી પાસેથી મળેલી માહિતી મુજબ, અંદાજે 15 કારના કાચ તોડવામાં આવ્યા છે. જોકે, આ કૃત્ય પાછળનું કારણ કે વાહનોમાંથી કોઈ સામાનની ચોરી થઈ છે કે કેમ તે અંગેની વિગતો હજુ સ્પષ્ટ થઈ નથી. એક જ રાતમાં આટલી મોટી સંખ્યામાં વાહનોના કાચ તોડવામાં આવતા, આ બનાવ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવાની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના તુલસીધામ સર્કલ પાસે આવેલ એસ.એસ.નગર ખાતે આવેલા ખુલ્લા ગ્રાઉન્ડમાં એક્સ આર્મીમેન દ્વારા બારબોર હથિયાર વડે હવામાં એક રાઉન્ડ બ્લેન્ક ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થયો હતો, જેને પગલે માંજલપુર 5 પોલીસ એલર્ટ થઈ ગઈ હતી અને તુરંત જ ફાયરિંગ કરનાર વ્યકિતની ઓળખ અને શોધખોળ શરૂ કરી હતી. પોલીસે જાહેરનામાનો ગુનો નોંધ્યોમાંજલપુર પોલીસની તપાસ દરમિયાન ફાયરિંગ કરનાર એક્સ-આર્મીમેન નિલેશ તુકારામ ઉત્તેકર (ઉં.વ.45, રહે. 59, રામદેવનગર, એસ.એસ.નગરની બાજુમાં, તુલસીધામ ચાર રસ્તા, માંજલપુર, વડોદરા) હોવાનું ખુલ્યું હતું. એક્સ આર્મીમેને હવામાં ફાયરિંગ કરીને આ જાહેરનામાનો ભંગ કર્યો હોવાથી માંજલપુર પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ફાયરિંગની પ્રેક્ટિસ સમયનો વીડિયો હોવાનું અનુમાનઉલ્લેખનીય છે કે, એક્સ આર્મીમેન પાસે લાયસન્સ છે, પરંતુ આ પ્રકારે જાહેરમાં ફાયરિંગ કરીને લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા, જેને કારણે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, આરોપી જાહેરમાં ફાયરિંગની પ્રેક્ટિસ કરતો હતો અને તે સમયે તેનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો.
પાટણમાં વીજ થાંભલો પડવાની અણીએ:ફાટીપાળ દરવાજા બહાર, બગીચા નજીક દુર્ઘટનાનો ભય
પાટણ શહેરના ફાટીપાળ દરવાજા બહાર એકબગીચા ના છેડે વીજળીનો થાંભલો છેલ્લા ઘણા દિવસોથી તૂટેલી હાલતમાં છે અને ગમે ત્યારે પડી શકે છે. આ થાંભલામાંથી હેવી વીજળીની લાઈન પસાર થાય છે, જે મોટી દુર્ઘટના નોતરી શકે છે. સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ, આ થાંભલાને કોઈ વાહન દ્વારા અકસ્માત કરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ત્યારથી તે નીચેથી તૂટી ગયેલી હાલતમાં ઊભો છે. આ વિસ્તારમાં બીડી હાઈસ્કુલ, ટીડીએસ પ્રાથમિક શાળા અને કોલેજ જેવી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. દિવસભર અહીંથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અન્ય લોકો પસાર થાય છે. જો આ થાંભલો અચાનક પડે તો જાનહાનિ થવાનો ભય છે. સ્થાનિક લોકોએ વીજ કંપનીને તાત્કાલિક આ જોખમી થાંભલો દૂર કરીને નવો થાંભલો સ્થાપિત કરવા વિનંતી કરી છે, જેથી સંભવિત અકસ્માતને ટાળી શકાય.
મોબાઈલ હેક કરી ખાતાધારકના ખાતામાંથી ₹6 લાખની લોન:વલસાડમાં કુલ ₹6.50 લાખની સાયબર ઠગાઈ, ફરિયાદ નોંધાઈ
વલસાડના મગોદ વિસ્તારમાં એક પ્રૌઢ સાથે ઓનલાઈન ઠગાઈની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કોઈ અજાણ્યા શખ્સે તેમનો મોબાઈલ ફોન હેક કરીને બેંક ખાતામાંથી તેમની જાણ બહાર ₹6 લાખની લોન મંજૂર કરાવી હતી. આ ઉપરાંત, ખાતામાં પડેલા અન્ય ₹50 હજાર સહિત કુલ ₹6.50 લાખની રકમ ઓનલાઈન ઉપાડી લીધી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. મગોદ મહા ફળીયામાં રહેતા સતિષભાઈ મોહનભાઈ પટેલ (ઉ.વ. 54) વલસાડની HDFC બેંકમાં ખાતું ધરાવે છે. ગત 11/12/2025 ના રોજ તેમના મોબાઈલ પર ₹6,00,000/- ની ઇન્સ્ટા જમ્બો લોન જમા થયાનો મેસેજ આવ્યો હતો. સતિષભાઈએ આ અંગે બેંકના કર્મચારીનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે આ લોન ઓનલાઈન પ્રોસેસથી લેવામાં આવી છે, જોકે તેમણે આવી કોઈ લોન માટે અરજી કરી ન હતી. થોડા દિવસો બાદ સતિષભાઈના ખાતામાંથી વધુ ₹50,000/- કપાયાનો મેસેજ આવતા તેઓ ATM પર ચેક કરવા ગયા હતા, પરંતુ ત્યાં તેમનો પિન 'રોન્ગ' બતાવતો હતો. ગત 16મીના રોજ તેમના પુત્રએ બેંકમાં જઈ તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે ખાતામાં હવે માત્ર ₹11,000/- જ બાકી રહ્યા છે. અજાણ્યા ઠગે લોનના ₹6 લાખ અને ખાતામાં જમા બીજા ₹50 હજાર મળી કુલ ₹6.50 લાખ રૂપિયા બારોબાર સેરવી લીધા હતા. સાયબર ઠગે ફરિયાદીનો મોબાઈલ નંબર (9726102233) ડિજિટલ માધ્યમથી હેક કર્યો હતો. હેક કરેલા મોબાઈલ દ્વારા બેંકિંગ ટ્રાન્ઝેક્શન કરીને ₹6 લાખની 'ઈન્સ્ટા જમ્બો લોન' મેળવી હતી. ત્યારબાદ, લોનની રકમ અને ખાતામાં રહેલી સિલકને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી લીધી હતી. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા સતિષભાઈએ તુરંત જ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. હાલ વલસાડ પોલીસ અને સાયબર સેલ આ મામલે ટેકનિકલ પુરાવાઓના આધારે વધુ તપાસ ચલાવી રહ્યા છે.
વલસાડ તિથલ બીચ મેરેથોનમાં 1700થી વધુ દોડવીરો:સન ડે સ્પોર્ટ્સ કલબ દ્વારા 5મી આવૃત્તિનું આયોજન
વલસાડના તિથલ બીચ પર રવિવારે સન ડે સ્પોર્ટ્સ કલબ દ્વારા આયોજિત 5મી બીચ મેરેથોનમાં 1700થી વધુ દોડવીરો ઉમટી પડ્યા હતા. આ મેરેથોનમાં 3 કિમી, 5 કિમી, 10 કિમી અને 21 કિમી એમ વિવિધ કેટેગરીમાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. વહેલી સવારે સૂર્યોદયના કિરણો અને દરિયાના ઠંડા પવન વચ્ચે દોડવીરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વલસાડ શહેર સહિત રાજ્યભરમાંથી આવેલા દોડવીરોએ રેતાળ કિનારા પર દોડવાનો અનોખો રોમાંચ અનુભવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, દેશમાં એક સાથે 11 કિલોમીટરનો પટ્ટો ધરાવતો એકમાત્ર તિથલ બીચ છે, જ્યાં બીચ મેરેથોનનું આયોજન થાય છે. આ કારણે દેશભરમાંથી મોટી સંખ્યામાં દોડવીરો આ મેરેથોનમાં ભાગ લેવા આવે છે, કારણ કે રોડ કે ડુંગર પર દોડવા કરતાં બીચ પર દોડવાનો અનુભવ અલગ હોય છે. મેરેથોન શરૂ થાય તે પહેલાં, રનર્સને વોર્મ-અપ કરવા માટે પ્રોફેશનલ ટ્રેનર્સ દ્વારા ઝુમ્બા ડાન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. મ્યુઝિકના તાલે બાળકોથી લઈને વડીલો સુધીના સહભાગીઓ ઝૂમી ઉઠ્યા હતા, જેનાથી સમગ્ર બીચનું વાતાવરણ જીવંત બની ગયું હતું. આ ઇવેન્ટમાં 5 વર્ષના ભૂલકાઓથી લઈને 70 વર્ષના વૃદ્ધો સુધીના સહભાગીઓએ મેડલ જીતવા માટે દોડ લગાવી હતી. દોડવીરો માટે રસ્તામાં વોટર પોઈન્ટ્સ, મેડિકલ ટીમ અને રિફ્રેશમેન્ટની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. ફિનિશિંગ લાઇન પર મેડલ સાથે ફોટો પડાવવા માટે સેલ્ફીનો ક્રેઝ પણ જોવા મળ્યો હતો. આ મેરેથોન દ્વારા 'ફિટ ઇન્ડિયા' અને 'ક્લીન તિથલ' જેવા સૂત્રો સાથે લોકજાગૃતિ પણ ફેલાવવામાં આવી હતી. આયોજકોના જણાવ્યા અનુસાર, વલસાડમાં સ્પોર્ટ્સ કલ્ચર વધે અને લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને તે હેતુથી દર વર્ષે આ મેરેથોનનું કદ વધી રહ્યું છે. આ વર્ષે રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન જોવા મળ્યું હતું. વિજેતાઓને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. દેશમાં બીચ ઉપર એક સાથે 11 કિલોમીટર નો પટ્ટો ધરાવતો હોવાથી દેશ ભરમાં એક માત્ર વલસાડમાં જ બીચ મેરેથોન યોજાય છે. જેમાં મોટી સંખ્યામાં દેશ ભરમાંથી દોડવીરો બીચ મેરેથોનમાં ભાગ લેવા આવી પહોંચે છે. રોડ ઉપર દોડવું, ડુંગર ઉપર દોડવું અને બીચ ઉપર દોડવું અલગ અનુભવ છે. દોડવીરોમાં દિવસે દિવસે બીચ મેરેથોન તરફ વધુ આકર્ષણ વધ્યું છે.
મહિલાઓમાં ગર્ભાશયના મુખના કેન્સર એટલે કે, સર્વાઈકલ કેન્સરને જડમૂળથી નાબૂદ કરવાના હેતુથી સરકાર દ્વારા 14 વર્ષની દીકરીઓને મફત એચપીવી રસી આપવાનું અભિયાન શરુ કરવામાં આવ્યું છે. વડોદરા ખાતે સોમવાર તા. 2 માર્ચથી રસીકરણ સત્ર શરુ કરવામાં આવશે. શહેરના 40 અર્બન આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણ વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ. શીતલભાઇ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, પ્રારંભિક તબક્કામાં શહેરના 40 અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તા. 2 માર્ચને સોમવારના રોજ રસીકરણ સત્રો યોજવામાં આવશે. આ કામગીરી માટે 142 એએનએમ તથા 67 સ્ટાફ નર્સની મદદથી સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. અંદાજે 15 હજારથી વધુ કિશોરીઓને રસીકરણનું લક્ષ્યાંક વડોદરા શહેરમાં લગભગ 15,033 કિશોરીઓને આવરી લેઇ રસીકરણ લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સોમવારથી રસીકરણની કામગીરી રાબેતા મુજબ તમામ અર્બન પ્રાઇમરી હેલ્થ સેંટર ખાતેથી સવારે 10 વાગ્યાથી પ્રારંભ કરવામાં આવશે. વડોદરા શહેરને કુલ 4,647 HPV રસીના ડોઝ પ્રાપ્ત થયાસ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, હાલમાં વડોદરા શહેરને કુલ 4,647 HPV રસીના ડોઝ પ્રાપ્ત થયા છે. જેમા 1 જાન્યુઆરી, 2011થી 29 ફેબ્રુઆરી, 2012 વચ્ચે જન્મેલી લગભગ 14 વર્ષની કિશોરીઓને આ રસી મુકવામાં આવશે. હેડ કાઉન્ટ સર્વે દ્વારા લાભાર્થીઓની ઓળખ કરવામાં આવશે. રસીકરણ બાદ 30 મિનિટ સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે. 247 હેલ્પલાઇન નંબર 104 ઉપર ફૉન કરી નાગરીકો માહિતિ મેળવી શકશે. આ અભિયાનનો સમયગાળો 3 મહિના (90 દિવસ) રહેશે. વડોદરા શહેરની તમામ લક્ષિત કિશોરીઓ અને તેમના વાલીઓને આ અભિયાનમાં સક્રિય સહભાગી થાય તેઓ આગ્રહ કરવામાં આવ્યો છે.
હોળી-ધૂળેટી પર્વને કારણે દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતી ટ્રેનોમાં મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આ ભીડને પહોંચી વળવા પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ટ્રેનો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત, પશ્ચિમ રેલવેએ વડોદરા અને ખાતીપુરા વચ્ચે 1 માર્ચથી 29 માર્ચ સુધી 'ફેસ્ટિવલ સ્પેશિયલ' ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેન મુસાફરોની સુવિધા અને હોળીના તહેવાર દરમિયાન વધતા ધસારાને ધ્યાનમાં રાખીને વિશેષ ભાડા પર દોડાવવામાં આવશે. વડોદરા ડિવિઝનના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાના જણાવ્યા અનુસાર, આ સ્પેશિયલ ટ્રેન દર રવિવારે વડોદરાથી રાત્રે 9.35 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 2.10 કલાકે ખાતીપુરા પહોંચશે. આ ટ્રેન ગોધરા, દાહોદ, રતલામ, મંદસૌર, નીમચ, ચિત્તોડગઢ, ભીલવાડા, બિજયનગર, નસીરાબાદ, અજમેર, મદાર, કિશનગઢ અને જયપુર સહિતના મર્યાદિત સ્ટેશનો પર સ્ટોપેજ લેશે. મુસાફરોની સુરક્ષા માટે રેલવે RPF અને GRP પોલીસ દ્વારા ટ્રેનોમાં સઘન પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ-સુત્રાપાડા રોડ પર કદવાર ગામ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં ટ્રક ડ્રાઇવર સહિત બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એક ટ્રક રોડ પર ઉભો હતો ત્યારે પાછળથી આવી રહેલા અન્ય એક ટ્રકે તેને ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે આગળના ટ્રકનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિકો અને રાહદારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઇજાગ્રસ્ત થયેલા બંને વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સુત્રાપાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના નરોડા વિસ્તારમાં બ્યુટી પાર્લરના બહાને મહિલાઓને અંધશ્રદ્ધાની જાળમાં ફસાવી દાગીના અને રોકડની ઠગાઈ કરતી બે ઠગબાજ મહિલાઓની પોલીસે ધરપકડ કરી છે. આ ટોળકી ગ્રાહક બની પાર્લરમાં જતી અને વાતોવાતોમાં ભોળવીને માતાજી આવે છે તેમ કહી ધૂણવાનું નાટક કરી ધાર્મિક વિધિના નામે સોનાના દાગીના પડાવી લેતી હતી. નરોડા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગાંધીનગર અને કપડવંજની બે મહિલા આરોપીઓની અટકાયત કરી તેમની પાસેથી 18 ગ્રામ સોનાની રણી કબજે કરી છે. તપાસમાં ખૂલ્યું છે કે, પકડાયેલી આરોપી મીનાબેન વિરુદ્ધ અગાઉ પણ રાજ્યભરમાં 10થી વધુ ગુના નોંધાયેલા છે, જ્યારે ચોરીનો માલ ખરીદનાર સોની વેપારીને પણ આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યો છે. બે અજાણી મહિલાઓએ નજર ચૂકવીને સોનાના દાગીનાની ચોરી કરીમળતી માહિતી મુજબ શહેરના નરોડા વિસ્તારમાં બ્યુટી પાર્લરનું કામ કરતાં એક મહિલાના ત્યાં બે અજાણી મહિલાઓ આવી હતી અને તેમણે બ્યુટી પાર્લરનું કામ કરાવવાની વાત કરી હતી. જે બાદ વાતચીત કરવાના બહાને તેમની પાસેથી નજર ચૂકવીને સોનાના દાગીનાની ચોરી કરી લીધી હતી. જે ફરિયાદના આધારે નરોડા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ કર્યા હતા, જે ફૂટેજમાં મહિલાઓ અવરજવર કરતી જોવા મળી હતી. CCTVમાં દેખાયેલી મહિલાઓ અંગેની તપાસ કરી નરોડા પોલીસે મીનાબેન ઉર્ફે ટીના વાદી ( ઉ. વ. 40, રહે. બહિયલ,ગાંધીનગર) અને રૂપલબેન વાદી ( ઉ. વ. 40, રહે. દણાદરા, કપડવંજ)ની ધરપકડ કરી હતી. ચોરેલા દાગીના આરોપીઓ ધીરેનભાઈ સોનીના ત્યાં વેચી દેતાનરોડા પોલીસ સ્ટેશનના PI પી.વી ગોહિલે જણાવ્યું હતું કે, બંને મહિલાઓની ધરપકડ કરી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, બંને બ્યુટી પાર્લરની દુકાનમાં જતી હતી અને બ્યુટી પાર્લરના કામની વાતોમાં ભોળવી અને રૂપલબેન મીનાબેનને માતાજી આવે છે તેમ કહી દુઃખ દૂર કરશે એમ કહેતા હતા. જેથી મીનાબેન ધૂણવા લાગતા હતા અને લોકોને માતાજીના નામે અંધશ્રદ્ધામાં ભોળવી અને દુઃખ દૂર કરવા માટે ધાર્મિક વિધિ કરવી પડશે તેવું કહી સોનાના દાગીના અથવા રોકડા રૂપિયા પડાવી લેતા હતા અને નજર ચૂકવીને ચોરી પણ કરી લેતા હતા. જે સોનાના દાગીના તેઓ અમદાવાદના હળદર વાસના ધીરેનભાઈ સોનીના ત્યાં વેચી દેતા હતા. આરોપીઓ પાસેથી 18 ગ્રામ સોનાની રણીઓ કબજે કરાઈપોલીસે તેમની પાસેથી 18 ગ્રામ જેટલી સોનાની રણીઓ પણ કબજે કરી છે. આરોપી તરીકે ધીરેનભાઈ સોનીને પણ બતાવવામાં આવ્યા છે. આરોપી મીનાબેન વિરુદ્ધ અગાઉ પણ શહેરના અને રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 10થી વધારે ગુનાઓ નોંધાયેલા છે. હાલ પોલીસે અન્ય કોઈ જગ્યા ઉપર ધાર્મિક વિધિના નામે અંધશ્રદ્ધામાં ભોળવીને છેતરપિંડી કરી છે કે કેમ તે અંગેની વધુ તપાસ શરૂ કરી છે.
ગોંડલ સ્થિત માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચરખડી ગામના વૃદ્ધાશ્રમના 50 જેટલા વૃદ્ધોને ધાર્મિક યાત્રા કરાવવામાં આવી હતી. આ યાત્રામાં વૃદ્ધોને સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર, પાળિયાદ, કુંડળ સ્વામિનારાયણ મંદિર અને ગઢડા સ્વામિનારાયણ મંદિરના દર્શનનો લાભ મળ્યો હતો. આ યાત્રા 28 ફેબ્રુઆરીના રોજ શનિવારે યોજાઈ હતી. વૃદ્ધોને ચરખડીથી લક્ઝરી બસ દ્વારા લઈ જવામાં આવ્યા હતા. મંદિરોમાં દર્શન માટે ટ્રસ્ટના ભાઈઓ અને બહેનોના સહયોગથી તેમજ મંદિર મંડળ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી વૃદ્ધોને કોઈ તકલીફ ન પડે. આ કાર્યમાં ટ્રસ્ટના પ્રમુખ બંટીભાઈ ભુવા, તેમજ સભ્યો રવીભાઈ પરસાણા, જયેન્દ્રસિંહ ડાભી, નંદાભાઈ ભેસાણીયા (ગેરેજ વાળા), ચંદ્રકાંતભાઈ હાસલપરા (હકાભાઈ), કૈલાશબા પરમાર, એકતાબેન ધોરાજીયા, જાગૃતિબેન માલવિયા અને વિલાસબેન ડોબરીયા સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
બોટાદ જિલ્લા અને તાલુકાની તરઘરા પ્રાથમિક શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે આપત્તિ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન અને પ્રાયોગિક તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આપત્તિ સમયે યોગ્ય પગલાં લઈ સ્વ-બચાવ અને પરસ્પર સહાય માટે સજ્જ બનવાનો હતો. તાલીમ દરમિયાન, મનુભાઈ (મનુમાસ્તર), હરેશભાઈ અને કરમશીભાઈએ ABC ફાયર એક્સ્ટિંગ્વિશર બોટલના યોગ્ય ઉપયોગ અંગે વિસ્તૃત માહિતી સાથે પ્રાયોગિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આગ લાગ્યાની સ્થિતિમાં બોટલનો ઉપયોગ કેવી રીતે કરવો, કઈ દિશામાં સ્પ્રે કરવો અને સુરક્ષિત અંતર કેવી રીતે જાળવવું તે સમજાવવામાં આવ્યું. ભૂકંપ સમયે ડ્રોપ, કવર અને હોલ્ડ પદ્ધતિ કેવી રીતે અપનાવવી અને ગભરાટ વિના શાંતિપૂર્વક સલામત સ્થળે કેવી રીતે પહોંચવું તે અંગે મીનાક્ષીબેને વિદ્યાર્થીઓને મહત્વપૂર્ણ માહિતી આપી હતી. આગ લાગ્યાની પરિસ્થિતિમાં સ્વ-બચાવ માટેના પગલાં, ધુમાડાથી બચવા માટે જમીન નજીક રહી આગળ વધવું અને તાત્કાલિક મદદ માટે કોને જાણ કરવી તે અંગે ગીતાબેન અને પ્રિયંકાબેને માર્ગદર્શન આપ્યું. આ તાલીમ કાર્યક્રમમાં તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને પ્રાયોગિક અભ્યાસ દ્વારા જરૂરી કૌશલ્ય પ્રાપ્ત કર્યું હતું. શાળાના પ્રધાનાચાર્યશ્રીએ જણાવ્યું કે, આપત્તિ સમયે સજાગતા અને તાલીમ જીવન બચાવવા માટે સૌથી મહત્વપૂર્ણ સાધન છે. આ આયોજન દ્વારા તરઘરા પ્રાથમિક શાળાએ સુરક્ષા જાગૃતિ અને જવાબદારીની ભાવના મજબૂત કરવાની દિશામાં સરાહનીય પહેલ કરી છે.
12માં ધોરણના જીવવિજ્ઞાાનના પેપરના જવાબો લાઉડસ્પીકર પર સંભાળયા
માસ કોપી કેસની અનોખી ઘટના પ્રકાશમાં આવી એક શખ્સે પરીક્ષા કેન્દ્રની બાજુમાં જૂના મકાનની અંદર લાઉડસ્પીકર પર જવાબો જાહેર કરી દીધા મુંબઈ - રાજ્યમાં બારમાં ધોરણની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે નાંદેડના કિનવત તાલુકામાં સંગીતા દેવી ઉચ્ચતર માધ્યમિક શાળા આશ્રમશાળામાં બારમાં ધોરણની બોર્ડ પરીક્ષા દરમિયાન એક અજાણ્યા શખ્સે લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને પ્રશ્નપત્રના જવાબો સંભળાવ્યા હતા. આ ઘટના બાદ વહીવટી તંત્રની સુરક્ષા પર સવાલો ઉભા થયા હતા.
અપહરણનો મામલો:લવ મેરેજ બાદ પિયરમાં ગયેલી યુવતીને પતિ સહિત સાત શખ્સ અપહરણ કરી ઉઠાવી ગયા
ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કોટામોઇ ગામે પરિવારિક સંબંધોમાં ઊભેલા તણાવને પગલે હિંસક બનાવ સર્જાયો હતો, જેમાં લવ મેરેજ કરીને પિયરમાં ગયેલી યુવતીને તેના પતિ અને સાથીદારોએ યુવતીના પિયરના ઘરેથી જબરદસ્તી ઉપાડી જતા ગામમાં ભારે ચકચાર મચી ગઈ હતી. હથિયારોથી સજ્જ આઠ જેટલા શખ્સોએ ઘરમાં ઘૂસી પરિવારજનો પર હુમલો કરી યુવતીનું અપહરણ કરતા ખૂંટવડા પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનાઓ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. જેસર નજીક કોટામોઇ ગામના ઢોરા વિસ્તારમાં રહેતા પિયુષપર્વત કૈલાશપર્વત ગૌસ્વામીએ ખૂંટવડા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની બહેન વૈશાલી ઉર્ફે ગુડ્ડીએ થોડા સમય પહેલા મહુવા તાલુકાના કુંભણ ગામના નરેશ બોઘાભાઈ આલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને પતિ સાથે રહેતી હતી. તા. 24/02/2026ના રોજ પિયુષપર્વત રાજકોટ ગયા હતા, જ્યાં અચાનક બહેન સાથે મુલાકાત થઈ હતી અને તેણીએ પોતાના ઘરે આવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ બંને ભાઈ-બહેન કોટામોઇ પરત આવ્યા હતા. ફરિયાદમાં જણાવ્યા મુજબ તે જ દિવસે સાંજે સફેદ રંગની કારમાં છ અને એક મોટરસાયકલ પર બે મળી કુલ આઠ શખ્સો હથિયારો સાથે તેમના ઘરની બહાર આવ્યા હતા. જેમાં નરેશ બોઘાભાઈ આલ અને સમીર સિપાહી સહિતના ઇસમો હાથમાં છરી અને લાકડાના ધોકા લઈને ગેરકાયદેસર રીતે ઘરમાં ઘૂસ્યા હતા. ત્યારબાદ પિયુષપર્વત, તેમના ભાઈ તથા માતા-પિતા પર હુમલો કરી મારમાર કર્યો હતો. જે બાદ આરોપીઓએ વૈશાલી ઉર્ફે ગુડ્ડીને જબરદસ્તી કારમાં બેસાડી અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. દરમિયાન પિયુષપર્વતના ભાઈએ એક અજાણ્યા ઇસમને પકડી લીધો હતો, પરંતુ તેને છોડાવવા સમીર સિપાહીએ છરી વડે હુમલો કર્યો હતો, જેના પગલે બંને આરોપીઓ પણ ભાગી છૂટ્યા હતા.
કમકમાટીભર્યો બનાવ:ભાવનગર–સોમનાથ હાઇવે પર અકસ્માતમાં યુવાનનું મોત
રાજુલા નજીક ભાવનગર–સોમનાથ હાઇવે પર કાંધલી કૃપા હોટલ પાસે ગત રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર ચાલીને જતા એક યુવાનને અજાણ્યા વાહને હડફેટે લેતાં તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. પોલીસ તપાસમાં વિક્ટર ગામના રહેવાસી મૃતક યુવાનનું નામ કમલેશભાઈ ભાણાભાઈ ગુજરીયા હોવાનું જાણવા મળ્યું છે. ભાવનગર–સોમનાથ હાઇવે પર અકસ્માત બાદ 112 અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ યુવાન હાઇવે પર પગપાળા જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહને ટક્કર મારી ફરાર થઈ ગયું હતું. ઘટનાને પગલે વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પોલીસ દ્વારા અજાણ્યા વાહનચાલકને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
છરી વડે હુમલો કરાયો:વરતેજની ખાનગી કંપનીના કર્મી.નો સાથી કર્મચારી પર છરી વડે હુમલો
ભાવનગર જિલ્લાના સિહોર ખાતે શર્મા પાર્ક વિસ્તારમાં રહેતા એક યુવાન ઇલેક્ટ્રીશન પર કામકાજના મુદ્દે થયેલા વિવાદને પગલે કંપની બહાર જ છરીથી જીવલેણ હુમલો કરવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ વિશાલભાઈ નટુભાઈ મકવાણા રાજપરા ખોડિયાર મંદિર પાસે આવેલી આઇટેક પ્લાસ્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ઇલેક્ટ્રીશન તરીકે ફરજ બજાવતા હતા. કંપનીમાં પાઇપ ફિટિંગનું કામ સમયમર્યાદામાં પૂર્ણ કરવાની જવાબદારી સુપરવાઇઝરે સોંપી હતી અને સુનિલભાઈ મેરને તેમની સાથે રાખવા જણાવ્યું હતું. જોકે અનેક વખત બોલાવ્યા છતાં સુનિલભાઈ મદદે આવ્યા ન હતા, જેથી આ બાબત સુપરવાઇઝરને જણાવતાં અન્ય કર્મચારી મારફતે કામ પૂર્ણ કરાવવામાં આવ્યું હતું. આ ઘટનાના અનુસંધાને કંપની છૂટ્યા બાદ વિશાલભાઈ ઘરે જવા નીકળ્યા હતા ત્યારે કંપનીના બહારના દરવાજા પાસે સુનિલ મેરએ તેમને રોકી મારી ફરિયાદ કેમ કરી કહી ઉશ્કેરાટભેર બોલાચાલી કરી હતી અને અચાનક છરી વડે પડખા, હાથ, નાક તથા મોઢાના ભાગે ઘા ઝીંક્યા હતા. બુમાબુમ સાંભળી કંપનીના અન્ય કર્મચારીઓ દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં વિશાલભાઈને તાત્કાલિક સારવાર માટે સર ટી હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો હતો
કેન્દ્રીય મંત્રી અને સાંસદ નિમુબેન બાંભણિયાની અધ્યક્ષતામાં આવતીકાલે તા.1લી માર્ચ-2026ના રોજ આઈ.ટી.આઈ. તળાજા ખાતે દિવ્યાંગજનોને નિઃશુલ્ક સહાયક સાધનો વિતરણ કરાશે. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)ની CSR યોજના તથા ભારત સરકારની એડિપ (ADIP) યોજના અંતર્ગત દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક સહાયક સાધનો વિતરણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તળાજા ખાતેની વિતરણ શિબિરમાં ભાવનગર જિલ્લાના તળાજા અને મહુવા તાલુકાના કુલ 389 દિવ્યાંગજનોને પૂર્વે ચિહ્નિત કરવામાં આવ્યા હતા. જેથી આવતીકાલે તા.1લી માર્ચ-2026ના રોજ રૂ. 64.40 લાખના ખર્ચે 706 સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવશે. દિવ્યાંગજનોના ચિહ્નીકરણ અને નોંધણી માટે નિમુબેન બાંભણિયા દ્વારા જિલ્લા ભાવનગર વહીવટીતંત્રના સહકાર અને માર્ગદર્શન હેઠળ પરીક્ષણ શિબિરોનું આયોજન કર્યું હતું. પરીક્ષણ શિબિર બાદ કુલ 2060 દિવ્યાંગજનોને અંદાજે રૂ. 2.76 કરોડની કિંમતના 3750 સહાયક સાધનોના નિઃશુલ્ક વિતરણ માટે ચિહ્નિત કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાની અધ્યક્ષતામાં નિ:શુલ્ક સાધન-સહાય શિબિરમાં આટલા સાધનોનું વિતરણ કરવામાં આવશે મોટર ચાલિત ટ્રાઇસાયકલ 62, ટ્રાઇસાયકલ 167, વ્હીલચેર 40, બેસાખી 88, છડી 92, સુગમ્ય કેન 29, રોલેટર 2, TLM કિટ 53, BTE ડિજિટલ પ્રકાર શ્રવણ યંત્ર 46, CP ચેર 13, વોકર 22, બ્રેલ કિટ 03, સ્માર્ટ ફોન 12, ADL કિટ 02, કૃત્રિમ અંગ 56
આજના આધુનિક યુગમાં પ્રદૂષણ, ખોટી જીવનશૈલી અને માનસિક તણાવને કારણે વાળ ખરવા અને નાની ઉંમરે ટાલ પડી જવી એ એક ગંભીર સામાજિક સમસ્યા બની ગઈ છે. બજારમાં મળતી મોંઘી પ્રોડક્ટ્સ અને ટ્રીટમેન્ટ્સ છતાં ઘણા લોકોને ધાર્યું પરિણામ મળતું નથી. આવી સ્થિતિમાં ગાંધીનગરના કોલાવડા સ્થિત ‘સ્ટેટ મોડલ આયુર્વેદ હોસ્પિટલ’ દ્વારા આયુર્વેદની શક્તિથી ગંભીર ટાલિયાપણાનો સચોટ ઈલાજ શોધી કાઢવામાં આવ્યો છે. એક 34 વર્ષીય મહિલા, જેમના માથાના વાળ લગભગ સંપૂર્ણપણે ખરી ગયા હતા, તેમને આયુર્વેદિક પદ્ધતિથી ફરી કુદરતી વાળ મેળવવામાં સફળતા મળી છે. મોંઘી સારવાર પદ્ધતિથી પણ કોઈ સુધારો ન આવ્યોદાહોદ જિલ્લાની આ મહિલા વર્ષોથી વાળ ખરવાની ગંભીર બીમારીથી પીડાતી હતી. અનેક નિષ્ણાત તબીબોની મોંઘી સલાહ અને વિવિધ સારવાર પદ્ધતિઓ અપનાવવા છતાં કોઈ સુધારો જોવા મળ્યો નહોતો. આ લાંબા ગાળાની સમસ્યાને કારણે મહિલા ભારે માનસિક તણાવ અને સામાજિક સંકોચ અનુભવતી હતી. અંતે, નિરાશ થઈને તેમણે ગાંધીનગરની આ સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં આશરો લીધો, જ્યાં તેમને 'ઇન્ડોર પેશન્ટ' તરીકે દાખલ કરી વિશેષ સારવાર શરૂ કરવામાં આવી હતી. સંપૂર્ણ ટાલ હતી, ત્યાં હવે નવા વાળ ઉગવાનું શરૂ શાલક્ય તંત્ર વિભાગના વડા પ્રોફેસર કિરણ રાજની સીધી દેખરેખ હેઠળ આ કેસનું સંચાલન કરવામાં આવ્યું હતું. પ્રોફેસર રાજે આયુર્વેદના શાસ્ત્રીય સિદ્ધાંતો મુજબ દર્દીની શારીરિક પ્રકૃતિનું વિશ્લેષણ કરી, તેમના માટે ખાસ કસ્ટમાઇઝ્ડ સારવાર પદ્ધતિ અમલમાં મૂકી હતી. લગભગ 6 મહિના સુધી ચાલેલી આ સઘન અને મક્કમ ચિકિત્સાના પરિણામે જે ભાગમાં સંપૂર્ણ ટાલ હતી, ત્યાં કુદરતી રીતે નવા વાળ ઉગવાનું શરૂ થયું. આ સફળતા આધુનિક યુગમાં આયુર્વેદ પ્રત્યે લોકોના વિશ્વાસને મજબૂત કરનારી સાબિત થઈ છે. આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિથી કાયમી અને સચોટ પરિણામ મેળવી શકાયઃ કિરણ રાજઆયુર્વેદ પ્રોફેસર કિરણ રાજે આ અંગે મહત્વની સલાહ આપતા જણાવ્યું હતું કે, જો વ્યવસ્થિત અને ચોકસાઈપૂર્વક આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ અપનાવવામાં આવે, તો વર્ષો જૂની અને હઠીલી સમસ્યાઓમાં પણ કાયમી અને સચોટ પરિણામ મેળવી શકાય છે. આ સફળતા એ વાતનું પ્રમાણ છે કે, આયુર્વેદ માત્ર ઉપરછલ્લો ઉપચાર નથી, પરંતુ મૂળમાંથી રોગને મટાડવાની શક્તિ ધરાવે છે. સામાન્ય માણસે મોંઘા ખર્ચ કરવાની જરૂર નથીગાંધીનગરની આ હોસ્પિટલમાં મળેલી સફળતા દર્શાવે છે કે, જટિલ અને અસાધ્ય ગણાતા રોગોના નિવારણ માટે હવે સામાન્ય માણસે મોંઘા ખર્ચ કરવાની જરૂર નથી. જનમાનસમાં આયુર્વેદ પ્રત્યે જાગેલો આ વિશ્વાસ આગામી સમયમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે ક્રાંતિ લાવશે. ‘ભૂતકાળમાં મહિલાને ઉંદરી (Alopecia)ની તકલીફ થઈ હતી’શાલાક્ય તંત્ર વિભાગના વડા પ્રોફેસર કિરણ રાજે જણાવ્યું હતું કે, એક 34 વર્ષીય મહિલા દર્દી મારી પાસે OPDમાં સારવાર માટે આવ્યા હતાં. આ મહિલાના માથાના ભાગેથી સંપૂર્ણપણે વાળ ખરી ગયા હતા અને લાંબા સમયથી સ્કાલ્પમાં વાળ જ જોવા મળતા નહોતા. દર્દીની તબીબી તપાસ અને હિસ્ટ્રી લેતા જાણવા મળ્યું કે, ભૂતકાળમાં તેમને ઉંદરી (Alopecia)ની તકલીફ થઈ હતી, જેમાં માથામાં સતત ખંજવાળ આવ્યા બાદ ધીમે-ધીમે બધા જ વાળ ખરી ગયા હતાં.
ગૌવંશના રક્ષણમાં સરકારનો કોઇ રોલ નથી દેખાતો.ગૌહત્યા વિરોધી કાયદાનો અમલ નથી થયો.આશા હતી કે હિન્દુવાદી સરકાર આવશે તો બધી સમસ્યાઓનું નિરાકરણ થઇ જશે પણ કોઇ સહકાર નથી આપતું. આ શબ્દો વિશ્વ હિન્દુ પરિષદના ઉત્તર ગુજરાત ગૌરક્ષા વિભાગના પ્રાંત પ્રમુખ કિશોર વાટેલિયાના. છેલ્લા 4-5 દિવસમાં ગુજરાતમાં ગૌમાંસ અને ગૌવંશનો મુદ્દો ખૂબ ચર્ચામાં રહ્યો. ગુજરાતમાંથી પકડાયેલા ગૌમાંસ મુદ્દે વિપક્ષે વિધાનસભામાં સરકારને ઘેરી હતી. આ તરફ સુરતના માંગરોળના હથોડા ગામે ગૌરક્ષકો અને પોલીસ પર હુમલો થયો હતો. રાજ્યના પાટનગર ગાંધીનગરના અડાલજમાં લક્ઝુરિયસ કારમાં વાછરડાંની ચોરીના CCTV પણ સામે આવ્યા હતા. આવી ઘટનાઓ ગુજરાતમાં ઘણીવાર બને છે અને તેના મુદ્દે વિપક્ષ સરકારને ઘેરે તે તો સમજી શકાય પણ હવે ખુદ ભાજપની ભગિની સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદે સરકાર સામે મોરચો ખોલ્યો છે. આજની સન્ડે બિગ સ્ટોરીમાં જાણો કે ગૌમાંસ અને ગૌવંશ વિશે વિહિપ, ભાજપ અને કોંગ્રેસ શું કહે છે. ગૌમાંસનો મુદ્દો વિધાનસભામાં ઉઠ્યોવિધાનસભાના બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસના જુદા-જુદા ધારાસભ્યોએ રાજ્યમાંથી ઝડપાયેલા ગૌમાંસ અંગે સરકારને સવાલ પૂછ્યો હતો. જેમાં સરકારે સ્વીકાર્યું કે છેલ્લા 2 વર્ષમાં કુલ 43 હજાર કિલો ગૌ માંસ પકડાયું છે. 433 વાહનો જપ્ત કરીને 339 વાહનોની હરાજી કરાઇ છે. વર્ષ 2024-25માં પંચમહાલ જિલ્લામાંથી સૌથી વધુ ગૌમાંસ પકડાયું હતું. શહેર-જિલ્લાવાર આંકડા જુઓ. ગુજરાતના પાટનગરમાં જ વાછરડાની ચોરીગાંધીનગરના અડાલજમાં આવેલા શનિદેવ મંદિરની સામેથી ગૌ તસ્કરો એક વાછરડાને ઉપાડી ગયા હતા. રાતના સમયે સફેદ કલરની કારમાં આવેલા તસ્કરોએ વાછરડાઓને કારમાં ભરવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન પશુઓએ ચીસો પાડી હતી. જેના કારણે મંદિરના પૂજારી જાગી જતાં તેમણે બૂમાબૂમ કરી હતી. જેથી તસ્કરો ગભરાઇને ભાગી ગયા હતા પણ એક વાછરડાને કારમાં લઇ જવામાં સફળ રહ્યાં હતા. સુરતના હથોડા ગામે ગૌરક્ષકો-પોલીસ પર હુમલોસુરતના કોસંબા પાસે આવેલા હથોડા ગામમાં ગૌહત્યાની બાતમી મળી હતી. જેથી ગૌરક્ષકો અને પોલીસ ગામમાં ગયા હતા. જ્યાં તેમના પર હુમલો થયો હતો. આ હુમલામાં ગૌરક્ષક સત્યપ્રકાશ યાદવને માથામાં તલવારનો ઘા વાગ્યો હતો. જેના પછી 7 PI, 15 PSI સહિત પોલીસની 15 ટીમે ગામમાં કોમ્બિંગ કર્યું હતું અને શંકાસ્પદોને પકડ્યા હતા. VHP આકરા પાણીએવિશ્વ હિન્દુ પરિષદના કિશોર વાટેલિયાએ ગૌમાંસ અને ગૌહત્યા મુદ્દે સરકારની ઝાટકણી કાઢી છે. તેમણે દિવ્ય ભાસ્કરને કહ્યું, આ દેશમાં ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે કે જ્યાં ગૌવંશની હત્યા વિરોધી કાયદો લાગુ છે. ગૌ માંસની હેરાફેરી, ગૌ માંસનો સંગ્રહ અને ગેરકાયદેસર કતલખાનાઓ સામે કડકમાં કડક કાયદાઓ છે. લાખો રુપિયાના દંડથી લઇને આજીવન કેદ સુધીની જોગવાઇઓ પણ છે. આમ છતાં મોટી સંખ્યામાં ગૌ માંસ પકડાયું છે એ પકડાયું કેમ? કેમ કે આપણે જે કાયદો બનાવ્યો છે તેની અમલવારી થઇ નથી. જો આ અમલવારી ન થઇ શકતી હોય તો હકીકતમાં આ તંત્રની નિષ્ફળતા છે. કાયદો કાયદાનું કામ કરે છેઃ ભાજપજો કે ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ.અનિલ પટેલે સરકાર કડક કાર્યવાહી કરતી હોવાનો દાવો કર્યો.ડૉ. અનિલ પટેલે દિવ્ય ભાસ્કરને કહ્યું, ગૌ હત્યા સંદર્ભમાં ભાજપ સરકાર ખૂબ જ કડક કાર્યવાહી કરે છે. ભાજપની આ જ સરકાર છે જેણે કાયદો પણ બનાવ્યો છે. જ્યાં જ્યાં આવા દુઃખદ બનાવો બને છે તેની સામે ખૂબ જ હાઇ લેવલની કામગીરી કરી છે. ગૌ હત્યા અને ગૌ માંસની બાબતમાં મોટા ભાગે દરેક જગ્યાએ કાર્યાવાહી કરવામાં આવી છે અને તેમને સજા પણ આપવામાં આવી છે. 'અનેક લોકો વિરુદ્ધ પાસાની કલમ પણ લગાડવામાં આવી છે. છતાં પણ ક્યાંક છૂટક બનાવ બનતા હોય છે પણ આવા બનાવમાં ગૃહ વિભાગ તાત્કાલિક કડક કાર્યવાહી કરે છે. ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પણ આ બાબતે સહેજપણ બાંધ છોડ ચલાવવા માંગતા નથી. કાયદો કાયદાનું કામ કરી રહ્યો છે.' રોજ ગૌમાંસ પકડાય છેઃ કોંગ્રેસગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ દિવ્ય ભાસ્કરને કહ્યું, ભાજપ સરકાર ગૌ હત્યા મામલે કાયદો લાવી છે. જેનો દેશ-દુનિયામાં ઢંઢેરો પીટી રહ્યાં છે. બીજીતરફ રોજ ગૌમાંસ પકડાય છે. હાલમાં જે આંકડો સામે આવ્યો છે એ તો સત્તાવાર રીતે પકડાયેલા ગૌ માંસનો આંકડો સામે આવ્યો છે પણ બિનસત્તાવાર રીતે તો આનું આખું નેટવર્ક 10 ગણું મોટું હોવાનો ચોંકાવનારો દાવો કિશોર વાટેલિયાએ કર્યો છે. કાયદાનો અમલ નથી થતોઃ વિશ્વ હિન્દુ પરિષદગૌ માંસ અને ગૌ તસ્કરી માટે તસ્કરોની મોડસ ઓપરેન્ડી વિશે વાત કરતાં વાટેલિયાએ કહ્યું, ગામડાંઓમાં ગેરકાયદેસર કતલખાનાઓ ચાલતાં હોય છે. પરિવહનના નિયમ પ્રમાણે ગૌ વંશ કે ગૌ માંસને સાંજના સાત વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી પરિવહન કરાવી શકાય નહીં. રાત્રે સમાજ તો સૂતો હોય છે પણ તેની સાથે સાથે તંત્ર પણ સૂતું હોય છે. આ લોકો રાતના સમયે જ હેરાફેરી કરતાં હોય છે. આનો અર્થ શું સમજવો કે તંત્રની પણ ક્યાંક તો મિલીભગત હશે જ અથવા તો અંદરો અંદર વ્યવહારો થતાં હોય તો જ આવું થાય ને? કાયદો છે પણ તેની અમલવારી થતી નથી. ગાયને રાજ્ય માતાના દરજ્જાની માંગઅમિત ચાવડાએ સવાલ ઉઠાવ્યો કે, વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન જે આંકડાઓ આવ્યાં તેમાં અલગ અલગ જિલ્લામાંથી મોટા પાયે ગૌમાંસ પકડાઈ રહ્યું છે. આ ગૌ હત્યા થાય છે ક્યાં અને ક્યાંથી આટલું ગૌમાંસ આવી રહ્યું છે? કેમ આટલા કાયદા છે છતાં ડર નથી જોવા મળતો? ભાજપના બતાવવાના અને ચાવવાના બન્ને અલગ અલગ છે એટલા માટે અમે વિધાનસભામાં બિલ લાવ્યાં કે ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપો. સરકારના ત્રણેય લોચન ખુલ્લા છેઃ ભાજપજો ગુજરાત સરકાર આટલી સખ્તાઇ વર્તી રહી છે તો ગૌમાંસનો જથ્થો ક્યાંથી આવે છે? આ સવાલના જવાબમાં ડૉ. અનિલ પટેલે કહ્યું, આ અંગે કાયદો પણ છે અને પ્રતિબંધ પણ છે. સમાજમાં અનેક પ્રકારના ગુનેગારો પણ હોય છે. આવા ગુનેગારો માત્ર ગૌ હત્યામાં જ નહીં પરંતુ અનેક ગુનાઓમાં સંકળાયેલા હોય છે. આ એક સામાજિક સમસ્યા છે. કેટલાક લોકો કટ્ટર માનસિકતા ધરાવતા હોય છે. આવા કારણે કેટલાક છૂટક બનાવો બનતા હોય છે પણ સરકારના ત્રણેય લોચન ખૂલ્લા જ છે. જો કે કિશોર વાટેલિયાનું માનવું છે કે જે કામ સરકારે કરવાનું હોય તે ગૌરક્ષકો કરે છે. કેટલાક કિસ્સામાં પોલીસ સમાધાન કરવાનું કહે છેઃ વિશ્વ હિન્દુ પરિષદતેમણે જણાવ્યું કે, ગૌ રક્ષકોએ બે મોરચે લડવું પડી રહ્યું છે. ગાંધીનગરમાં વર્લ્ડ ફેમસ મહાત્મા મંદિર બનાવ્યું છે. એ જ ગાંધી બાપુએ લખ્યું છે કે ગૌ વંશના રક્ષણની જવાબદારી સરકારની છે, સમાજની નથી. આવામાં સરકારનો તો કોઇ રોલ દેખાતો નથી. અમારા વિશ્વ હિન્દુ પરિષદની આસ્થા અને મુખ્ય ઉદ્દેશ છે કે ગાય માતા પર ક્યારેય આંચ નહીં આવા દઇએ. જે કામ સરકારે કરવાનું હોય તે કામ ગૌ રક્ષકો કરે છે. આવામાં અમે કામગીરી કરીએ તો અમારે પહેલાં તો તસ્કરો સામે લડવાનું હોય છે પછી પોલીસ સામે લડવું પડે છે. કેમ કે કેટલાક કિસ્સાઓમાં પોલીસ પણ કહેતી હોય છે કે સમાધાન કરી નાંખો એટલે એમાં સજા માટે અમારે તેમની સામે લડવું પડે છે. અમિત ચાવડાએ ભાજપ પર બે મોઢાની વાત કરવાનો આરોપ લગાવ્યો. ચાવડાના મતે, જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારે ગાયના નામે રાજકારણ કર્યું. તેઓ બે મોઢાની વાત કરે છે. એક બાજુ મત લેવા માટે જાય ત્યારે ગાય માતા, હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ ધર્મની વાત કરે છે. બીજી બાજુ ચૂંટણી માટે ડોનેશનની વાત આવે ત્યારે બીફ એક્સપોર્ટ કરતી કંપનીઓ પાસેથી કરોડોનું ડોનેશન લે છે. કિશોર વાટેલિયાએ સુરતના માંગરોળના હથોડા ગામે ગૌરક્ષકો અને પોલીસ પર થયેલા હુમલાનો મુદ્દો પણ ઉઠાવ્યો. ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટતેમણે કહ્યું કે, હથોડા ગામે કસાઇઓ ગૌ વંશની હત્યા કરવાના હતા. જેની બાતમી કાર્યકરોએ આપી એ પછી 4થી 5 નાના લેવલના પોલીસ અધિકારીને ત્યાં મોકલવામાં આવ્યા હતા પણ એ ખ્યાલ હોવો જોઇએ કે જે વ્યક્તિ પશુઓનું કતલ કરે છે તે માણસોનું કતલ કરતાં ખચકાશે નહીં. 'એ જગ્યાએ કેટલું રિસ્ક છે તે જાણ્યા વગર જાય છે અને પછી કસાઇઓ હુમલો કરે છે. જેના પછી પોલીસ તંત્રના ધાડેધાડા ઉતારવામાં આવે છે. ઘોડા છૂટી જાય પછી તમે તાળા મારવા જાઓ છો, આ માત્ર દેખાડો છે. આની જગ્યાએ કડકમાં કડક કાર્યવાહી કરીને એક-બેને સજા કરીને જેલમાં મોકલવા જોઇએ જેથી ડર ઊભો થશે.' આ તરફ ભાજપનો દાવો છે કે, અત્યાર સુધીમાં આ કામગીરી સાથે સંકળાયેલા જે પણ વાહનો પકડવામાં આવ્યાં છે તેની હરાજી પણ કરાઇ છે. ગંભીર ગુનામાં જે પ્રકારની સજા કરવામાં આવે છે તેવી જ સજા આમાં પણ કરવામાં આવી છે. વિપક્ષ વોટ બેંક સાચવે છેઃ ભાજપવિપક્ષે એવો પણ આક્ષેપ કર્યો છે કે કસાઇઓ પાસેથી હપ્તા લઇને તેમને બેરોકટોક આવી કામગીરી કરવા દેવાય છે આ અંગે ડૉ. અનિલ પટેલે કહ્યું કે, વિપક્ષને એટલું જ કહેવું છે કે તે પોતાની મત બેંક સાચવવાની કોશિષ કરે છે. અમિત ચાવડાએ ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપવાની માંગ કરતા કહ્યું, ઢોર વાડાના નામે અમદાવાદ કે પછી બીજા કોર્પોરેશનોમાં કેપેસિટી કરતાં પણ 10 ગણી ગાયો ભરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અણઆવડતના કારણે પાંજરાપોરમાં અનેક ગાયોના મૃત્યું થયા છે. અમે મુખ્યમંત્રીને પણ કહ્યું છે તે તેઓ અમારા આ બિલના સમર્થનમાં આવે અને સૌ ભેગા થઇને રાજ્યમાતાનો દરજ્જો આપવામાં આવે. વાટેલિયાએ સરકાર તરફથી સહકાર ન મળતો હોવાનું પણ કહ્યું. તેઓ કહે છે કે, ઉદ્દેશ્ય અને આશા તો એ હતી કે આ દેશમાં હિન્દુવાદી સરકાર આવે તો આ બધી સમસ્યાઓનું નિરાકરણ થઇ જાય પણ હાલમાં હિન્દુઓની સરકાર છે અને ગૌ રક્ષકો કામ પણ કરી રહ્યાં છે છતાં કોઇ સાથ સહકાર આપી રહ્યું નથી. ગૌરક્ષકોને અપાતું ઇનામ કેમ બંધ કરાયું?પહેલાં ગૌરક્ષકોને 200 રૂપિયા અને પછી 500 રૂપિયાનું ઇનામ મળતું હતું પણ હવે સરકારે આ ઇનામ બંધ કરી દીધું છે. આ અંગે ડો. પટેલે કહ્યું કે, સરકાર સહાનુભૂતિપૂર્વક ગૌરક્ષકના સંદર્ભમાં નિર્ણય લેશે. હું વિનંતી પણ કરું છું કે સાચા ગૌરક્ષકને પૂરતું પ્રોટેક્શન આપવામાં આવે. ગૌરક્ષકો દ્વારા ગૃહ વિભાગને જે માહિતી મળે છે તે પ્રમાણે કામગીરી કરવામાં આવે જ છે. જો કે વિહિપને આમાં બહાનું લાગે છે. વાટેલિયાના કહેવા પ્રમાણે, શરૂઆતમાં ગૌ રક્ષકોને ઇનામના ભાગરૂપે 200 રૂપિયા આપવામાં આવતાં હતા. જેના પછી તેમાં વધારો કરીને 500 રૂપિયા કરાયા પણ એ પછી એકાએક ઇનામ બંધ કરી દીધું. ઇનામ બંધ કરવા પાછળના પણ કેટલાક ચોંકાવનારા કારણો સામે આવ્યાં. એમાં કારણ આપવામાં આવ્યું કે આમાં ખોટા ગૌ રક્ષકો પણ ખોટી રીતે લાભ લઇ જાય છે. સરકાર કાયદો બનાવે છે તો તેમાં જોગવાઇ પણ એવી હોવી જોઇએ કે જે ખોટી રીતે ઇનામ લઇ જાય તો તેને દંડવામાં આવે, બાકી તો હકીકતમાં આ તેમનું એક બહાનું જ છે. જ્યારે અમિત ચાવડાએ કહ્યું કે, આપણે ત્યાં કાયદો છે. ડબલ એન્જિનની સરકાર છે. ગાયના નામે મત લીધા હોય આવી પરિસ્થિતિમાં ગૌ માતાની રક્ષા કરવાની જવાબદારી કોઇ ખાનગી સંસ્થા કે વ્યક્તિની ક્યાં છે? આ જવાબદારી પ્રજાએ ચૂંટેલી સરકારની અને મંત્રીઓની છે. ગૌરક્ષકો પર ખૂબ જોખમ હોય છેઃ વિશ્વ હિન્દુ પરિષદ ગૌમાંસ કે ગાયની તસ્કરી અટકાવવા જતી વખતે ગૌરક્ષકો પર કેટલું જોખમ હોય છે તેનો ઉલ્લેખ કરતા વાટેલિયાએ કહ્યું કે, આમાં ખૂબ જોખમ રહેલું હોય છે. બાતમી મળ્યાં બાદ અમે કોઇ વિસ્તારમાં પહોંચીએ પણ એ લોકો પ્રિ પ્લાનિંગ કરીને આવતાં હોય છે. તેમને એ વાતનો અંદાજો તો હોય છે કે તેઓ પકડાઇ જવાના છે એટલે તેઓ જીવના જોખમે પણ હુમલો કરતા હોય છે. ગૌરક્ષકો ઉપર વાહન પણ ચડાવી દેતા હોય છે. આવી પરિસ્થિતિમાં પણ અમે ના છૂટકે તેમને પકડતાં હોઇએ છીએ. ગૌરક્ષકોએ બચાવેલી ગાયોનું પછીથી શું થાય છે તે અંગે વાટેલિયા જણાવે છે કે, આ પ્રશ્ન દરેકને થાય છે. એક બાજુ પોલીસ અધિકારીઓને FIR કરવી હોતી નથી પણ ગૌ રક્ષકો પકડે ત્યારે તેમને FIR દાખલ કરવી પડે છે. આ પછી તેના ફોલોઅપ લેવાની જવાબદારી સરકારની બની જાય છે કેમ કે તેમાં ગૌ રક્ષકો હસ્તક્ષેપ કરી શકતાં નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નિયમનું ઉલ્લંઘન કર્યું હોવાનો દાવો પણ તેમણે કર્યો. તેઓ કહે છે કે, 13 ફેબ્રુઆરી, 2026ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 7 ટ્રકોમાં ગાયોને ભરીને ડીસા લઇ જવામાં આવતી હતી. આ દરમિયાન બજરંગ દળના કાર્યકરોએ તે ટ્રકોને પકડી હતી. કાર્યકરો ટ્રકોને પોલીસ સ્ટેશન લઇ ગયા અને ત્યાં નિયમો મુજબના સર્ટિફિકેટ માંગ્યા હતા. તેમની પાસે પરિવહન માટેનું સર્ટિફિકેટ, પશુ ફિટ છે કે નહીં તેનું મેડિકલ સર્ટિફિકેટ હતું. નિયમ એવો છે કે એક ટ્રકમાં 6 પશુઓને જ લઇ જઇ શકાય તેની સામે એ લોકોએ એક ટ્રકમાં 9 પશુઓ ભર્યા હતા. જેના પછી તેમણે અમદાવાદ ઓફિસે ફોન કર્યો અને અધિકારીઓએ માફી માંગીને એક પત્ર પણ લખી આપ્યો હતો. આવામાં પોલીસે પણ કોર્પોરેશનની તરફદારી કરી હતી. આ કેટલું હાસ્યાસ્પદ છે કેમ કે તેમને નિયમો ખબર હતા છતાં તેનું પાલન નહોતા કરતાં. ઉદ્યોગપતિઓને ગૌચર પધરાવી દીધીઃ કોંગ્રેસ અમિત ચાવડાએ કહ્યું, ભાજપની સરકાર જ્યારથી આવી છે ત્યારથી ગૌચરો ઉદ્યોગપતિઓને પધરાવી દીધા છે. પૈસાદાર લોકોએ તેના પર ગેરકાયદેસર કબજો કર્યો છે. અમદાવાદના મુલસાણાનો જ એક દાખલો છે કે આખા પાંજરાપોળની જગ્યા બિલ્ડરોને ખોટી રીતે પધરાવી દીધી. જે જગ્યા ગાયો માટે રિઝર્વ હતી તેનો દુરૂપયોગ થયો. આખા ગુજરાતમાંથી ગૌચરની જગ્યા ખલાસ થઇ ગઇ છે.આની પાછળ સરકારની ખોટી નીતિ ખોટી છે.
સરકારી તંત્રવાહકોની અક્ષમ્ય બેદરકારીનું પરિણામ:સિહોર શહેરમાં છ દાયકા પુરાણું પથિકાશ્રમ બન્યું ખંડેર
ગુજરાતમાં એક તરફ રાજ્ય સરકાર પ્રવાસન અને ધાર્મિક સ્થળોનો વિકાસ કરી બહારથી આવતા પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે. જોકે તેમ છતાં સ્થાનિક કક્ષાએ તાલુકા અને જિલ્લા કક્ષાના સરકારી તંત્રવાહકોની બેદરકારીથી વિકાસ કામમાં બેદરકારી રાખવામાં આવતી હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે. આવા જ કિસ્સામાં સિહોરમાં તાલુકા અને જિલ્લા કક્ષાના સરકારી તંત્રવાહકોની ઘોર બેદરકારીથી જર્જરિત બનેલા છ દાયકા પુરાણું પથિકાશ્રમની હાલત ખંડેર જેવી થઇ છે. સિહોરમાં તૈયાર થતો રી-રોલિંગ મિલ ઉદ્યોગ આજે રાજ્ય અને દેશભરમાં જાણીતો છે. સિહોર ઔદ્યોગિક એવમ ધાર્મિક બાબતોમાં પણ જાણીતી છે. સિહોરમાં નવનાથ અને પાંચપીરના બેસણા છે. ઉપરાંત અહીં ગૌતમેશ્વર મહાદેવ, મુકતેશ્વર મહાદેવ, સાત શેરી, ઐતિહાસિક કિલ્લાઓ, બ્રહ્મકુંડ, હનુમાનધારા, ગૌતમ કુંડ સહિતના અનેક જોવાલાયક સ્થળો આવેલા છે. સિહોરમાં ધાર્મિક અને ફરવાલાયક સ્થળોની મુલાકાતે અનેક પ્રવાસીઓ આવતા હોય સરકારી પથિકાશ્રમની તાતી જરૂરિયાત છે. સિહોરમાં પડેલા પથિકાશ્રમનું રિનોવેશન કરી ફરીથી ધમધમતું કરવામાં આવે તો બહારથી આવતા લોકોને ફાયદો થઇ શકે તેમ છે. પથિકાશ્રમની સવલત મળે તો ખાનગી હોટેલો કે ગેસ્ટ હાઉસ કરતાં સસ્તા દરે મુસાફરોને રહેવાની સુવિધા મળી શકે તેમ છે. આ પથિકાશ્રમના રિનોવેશન માટે સરકાર દ્વારા ગ્રાંટ ફાળવવામાં આવે તો સિહોરની સુવિધામાં એક વધારો થશે. આ અંગે તાલુકા અને જિલ્લા કક્ષાના સરકારી તંત્રવાહકો દ્વારા વહેલામાં વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઊઠવા પામી છે. સને-1963માં થયું હતું પથિકાશ્રમનું નિર્માણસિહોરમાં ભાવનગર રોડ પર આવેલ તાલુકા પંચાયત નજીક પથિકાશ્રમ આવેલું છે. આ પથિકાશ્રમનું પંચાયત રાજ અમલમાં આવ્યું ત્યારથી એટલે કે સને-1963માં નિર્માણ થયું હતું. સિહોરમાં પથિકાશ્રમ શરૂ થવાથી મુસાફરોને રાત્રિ રોકાણ માટે ખુબ ફાયદાકારક સાબિત થયું હતું. સંબંધિત સરકારી તંત્રવાહકોની અણઆવડતના કારણે પથિકાશ્રમ જર્જરીત બનતા બંધ કરી દેવામાં આવ્યું છે.
જુગારીઓ રંગે હાથ ઝડપાયા:જુગાર રમતા સાત શખ્સોની અટકાયત
શિવાજી સર્કલ પાસે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાદમી મળી હતી કે ઘોઘા રોડ 14 નાળા રામજી મંદિર પાસે મફતનગર વિસ્તારમાં ખુલ્લી જગ્યા પર અમુક ઈસમો હાર જીતનો પૈસાનો જુગાર રમતા હોય જેથી પોલીસે ત્યાં દરોડા પાડી સંજય ઉર્ફે ચક્રમ ધનજીભાઈ બારૈયા, ઇલિયાસ ઉસ્માનભાઈ મોદન, મનીષ લાલજીભાઈ ગોહેલ, ધ્રુમેલ પ્રતિકભાઇ મહેતા, સવજી મગનભાઈ કંટારીયા, હાર્દિક ઉર્ફે દુલાભાઈ ગોહિલ અને હંસાબેન અશોકભાઈ પરમાર ને પૈસાનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા જ્યાંથી રોકડ 12,300 સાથે છ પુરુષો સહિત એક મહિલાની અટકાયત કરી હતી.
ગાંજો ઝડપાયો:61 હજારના 1.223 કિલો ગાંજા સાથે SOGએ શખ્સને ઝડપ્યો
ભાવનગર શહેરમાં એસ.ઓ.જી. પોલીસને ભરોસાપાત્ર બાતમીના આધારે સરતાનપર વાવડી વિસ્તારમાં દરોડા પાડી એક વ્યક્તિના ઘરેથી મોટી માત્રામાં ગાંજો જપ્ત કર્યો હતો. આરોપી મુકેશ જીવારામભાઈ ગોંડલીયાની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ એસ.ઓ.જી. પોલીસને બાતમી મળી હતી કે સરતાનપર વાવડી ભાવનગર તાલુકા વિસ્તારમાં રહેતા મુકેશ જીવારામભાઈ ગોંડલીયા પોતાના નિવાસસ્થાને ગાંજો રાખી તેનો વેચાણ કરતા હોય, જેના આધારે પોલીસે તાત્કાલિક દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી. સરતાનપર વાવડી ગામથી રાજપરા ગામ તરફ જતાં મુખ્ય માર્ગ પર આવેલ મકાન પર પોલીસે દરોડો પાડતા આરોપી હાજર મળી આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ ગાંજો પીવાની ટેવ હોવાની કબૂલાત આપી અને સુરત શહેરમાં પટ્ટી પૂલની નીચેથી ગાંજો લાવ્યો હોવાની માહિતી આપી હતી. બાદમાં પોલીસે તેના ઘરની તપાસ હાથ ધરી હતી, જેમાં રૂમની પાછળ આવેલી પત્રાવાળી ઓરડીમાં ખાટલા નીચે રાખેલી બ્લુ રંગની પ્લાસ્ટિકની કોથળીમાંથી મહેંદી રંગનો ગાંજો મળી આવ્યો હતો. એફ.એસ.એલ. ટીમની હાજરીમાં કરવામાં આવેલા વજન દરમ્યાન 1.223 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. 61,150 ગણવામાં આવી હતી. પોલીસે મુદ્દામાલ કબજે કરી મુકેશ જીવારામભાઈ ગોંડલીયા વિરુદ્ધ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.
નુકસાનની ફરિયાદ નોંધાઈ:ખેતરમાં ભેલાણ કરી બકરા ચરાવી રૂ. 50 હજારનું કરાયેલું નુકસાન
ભાવનગર જિલ્લામાં ખેડૂતોના પરિશ્રમ પર ફરી એકવાર દુષ્કૃત્યનો ઘા પડ્યો હતો. ઉમરાળા તાલુકાના દેવળીયા ગામે એક ખેડૂતની વાડીમાં અનુમતિ વગર પ્રવેશ કરી બકરાં ખુલ્લા ચરાવવા મૂકતાં કપાસ અને એરંડાના પાકને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ઘટનાને લઈને ખેડૂત દ્વારા પોલીસમાં રજુઆત કરતાં સમગ્ર વિસ્તારમાં આક્રોશનો માહોલ ફેલાયો હતો ઉમરાળા તાલુકાના દેવળીયા ગામે રહેતા બાબુભાઈ બચુભાઈ દેસાઈએ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ સાંજે ચાર વાગ્યાના સમયે પોતાના ઘરે હાજર હતા ત્યારે ગામના જ એક વ્યક્તિનો ફોન આવ્યો હતો. ફોન કરનારએ જણાવ્યું હતું કે તેમની વાડીમાં ગામના જ ગોપા બુધાભાઈ ગમારા અને એક અજાણ્યો શખ્સ પોતાના બકરાં કપાસ અને એરંડાના ઉભા પાકમાં ખુલ્લા મૂકી ચરાવી રહ્યા હતા. આ જાણ થતાં જ બાબુભાઈ તાત્કાલિક પોતાની વાડી પર પહોંચ્યા હતા ત્યારે બંને શખ્સો સ્થળ છોડીને જતા રહ્યા હતા. વાડીમાં પહોંચીને પાકની તપાસ કરતાં કપાસ અને એરંડાના પાકને ગંભીર રીતે ચરાઈ ગયેલા હાલતમાં જોઈ ખેડૂત સ્તબ્ધ રહી ગયા હતા. પ્રાથમિક અંદાજ મુજબ આશરે પચાસ હજાર રૂપિયાથી વધુનું નુકસાન થયું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કોઈ આગોતરી જાણ કર્યા વગર સીધા ખેતરમાં ઘૂસીને બકરાં છોડવામાં આવતાં ખેડૂતની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ સાહિત્યકાર, સંશોધક ઝવેરચંદ મેઘાણીની પુણ્ય સ્મૃતિ રૂપે, એમના પૈતૃક વતન બગસરામાં પૂ.મોરારીબાપુની રામક્થા માનસ મેઘાણીનો આરંભ તા.7 માર્ચથી થશે. મોરારિબાપુના કુલ કથા ક્રમની 973મી રામકથા છે. મેઘાણીભાઇનું દેહાવસાન 9 માર્ચ, 1946માં બોટાદ ખાતે થયેલું. એ રીતે એમની એંસીમી પુણ્ય તિથિના અનુસંધાને, સમગ્ર ગુજરાતનું સાહિત્ય વિશ્વ, માનસ મેઘાણી રામકથાનાં માધ્યમથી એક સમર્થ સાક્ષરનું પુણ્ય સ્મરણ કરશે. બગસરામાં પૂ.બાપુની અગાઉ એક કથા થઇ ચૂકી છે, જે 6 મે, 1980માં યોજાયેલી. આગામી કથા 7-3-2026થી આરંભાશે. બરાબર 45 વર્ષ અને 10 મહિના બાદ બાપુની કથાનું બગસરામાં ગાન થશે. મૂળ બગસરાના જૈન વણિક પરિવારમાં,28 ઓગસ્ટ 1896માં ચોટીલા ખાતે જન્મેલા ઝવેરચંદ મેઘાણીનું પ્રાથમિક શિક્ષણ ચોટીલા, દાઠા, પાળીયાદ, બગસરામાં થયું. અમરેલીઅને રાજકોટમાં માધ્યમિક શિક્ષણ પૂરું કરીને ભાવનગરની શામળદાસ કોલેજમાં અંગ્રેજી અને સંસ્કૃત વિષય સાથે 1916માં ગ્રેજ્યુએશન પૂરું કર્યું. એક વાર ઇંગ્લેન્ડ પણ ગયા પરંતુ અંતે માતૃભૂમિ પરના પ્રેમથી ખેંચાઇને 1920માં બગસરા પાછા ફર્યા. ત્યાર બાદ રાણપુરના સૌરાષ્ટ્ર અખબારમાં કોલમ લખવાનું શરૂ કર્યું તેમ માહિતી આપતા મનોજભાઇ જોષીએ જણાવ્યું હતું. 4 વર્ષ પહેલા બાપુએ કથા માટે મનોરથ વ્યક્ત કરેલોઉલ્લેખનીય છે કે 4 જાન્યુઆરી 2020માં ગુજરાતના મહા કવિ ઉમાશંકર જોશીના સ્મરણમાં તેમના વતન બામણા(હિંમતનગર) ખાતે પૂજ્ય બાપુએ માનસ ઉમાશંકર શિર્ષક અંતર્ગત કથા ગાન કરેલું. એ વખતે બાપુએ વ્યાસપીઠ પરથી મેઘાણીભાઇને અંજલિ આપવા માટે માનસ મેઘાણી કથા કરવાનો મનોરથ વ્યક્ત કરેલો.
કરુણ અકસ્માત સર્જાયો:બાઈક સવારને મેજીકે અડફેટે લેતા રત્ન કલાકારનું કરૂણ મોત
તળાજા તાલુકાના ભદ્રાવળ એક રામજી મંદિર વાળા ખાચા માં રહેતા નીતિનભાઈ ધીરુભાઈ મકવાણા ના ભાઈ ભાવનગર કુમુદ વાડીમાં હીરા ઘસવા નો વ્યવસાય કરતા અને કાયમી ભદ્રાવળ થી અપડાઉન કરતા વિશાલભાઈ મકવાણા (ઉ. વ. 25) તેની મોટરસાયકલ લઈ તેના મિત્ર વૈભવ તથા જયદીપ ને આરટીઓ સર્કલ બસમાં જવા માટે મુકવા ગયા બાદ બસ ચુકી જતા તે બંનેને બેસાડી પ્રેસ ક્વાટર ખાતે ઉતારવા જતા હતા. તે વખતે કુમુદ વાડીના નાકે મિલી પાન પાસે મેજીક નંબર gj04 એટી 6518 ના ચાલકે પોતાનું વાહન પૂરપાટ ઝડપે ચલાવી બાઈક સાથે અકસ્માત સર્જતા નીચે પડી જતા તમામને ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન વિશાલભાઈ મકવાણા નું મોત નીપજયું હતું. બોર તળાવ પોલીસે મૃતક ના ભાઈ નીતિનભાઈ મકવાણા ની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ફાલ્ગુન શુક્લ-૧૫, મંગળવાર તા.3-3-26 આ દિવસે સિંહ રાશિ અને પૂ.ફાલ્ગુની નક્ષત્રમાં થનાર ખગ્રાસ ચંદ્રગ્રહણ ભારત, એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, યુરોપમાં દેખાશે. તેનો દોષ લાગશે અને તેને પાળવાનું રહેશે. ભાવનગરમાં આ ચંદ્રગ્રહણ દેખાવાનું નથી. આથી ધાર્મિક દૃષ્ટિએ પાળવાનું નથી. આ ગ્રહણ પૂર્વીય યુરોપ, એશિયા, ભારત, ઓસ્ટ્રેલિયા, પેસિફિક, ઉત્તર અને દક્ષિણ અમેરિકા અને એટલાન્ટિકમાં દેખાશે. આ ગ્રહણનું ગ્રાસમાન 1.155 છે સંપૂર્ણ ગ્રહણકાળ 5 કલાક 39 મિનિટ રહેશે અને મધ્ય સ્થિરતા 58 મિનિટ રહેશે.તેમ શ્રીધર પંચાગવાળા કિશન જોશીએ જણાવ્યુ હતુ. આગ્રહણ સંપૂર્ણ સ્વરૂપે સમગ્ર ભારતમાં જોવા ન મળતા, પૂર્વીય ભારત, મધ્ય ભારત અને પશ્ચિમ ભારત એટલે કે પૂર્વીય ગુજરાતના અમુક પ્રદેશમાં તબક્કાવાર જોવા મળશે. ગુજરાતમાં આગ્રહણ પૂર્વ ગુજરાત દાહોદ અને તેમના આસપાસના વિસ્તારમાં આગ્રહણ વધારેમાં વધારે 0.2 અંશ ની ઊંચાઈ ધરાવે છે જે ગ્રહણ મોક્ષના સમયે 1.5 અંશની ઊંચાઈ ધરાવે છે જેથી અંગુરલાલ્ય ગ્રહણ તરીકે વર્ણન કરી શકાય. ભારતમાં આ ચંદ્રગ્રહણ ખગ્રાસ રૂપે, ખંડગ્રાસ રૂપે અને માંઘ રૂપે એમ ત્રણ પ્રકારે દેખાશે. માટે તેનો દોષ લાગશે અને તેના વેધાદી નિયમો પાળવાના રહેશે.માંઘગ્રહણ જ્યાં દેખાશે ત્યાં દોષ લાગશે નહીં. જ્યાં ખગ્રાસ અને ખંડગ્રાસ રીતે ગ્રહણ દેખાશે ત્યાં વેધાદિ નિયમ પાળવાના રહેશે. આંદામાન નિકોબાર ટાપુ, અરૂણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ જોવા મળશે. માટે તેનો દોષ લાગશે અને તેના વેધાદી નિયમો પાળવાના રહેશે. જ્યારે આંધ્રપ્રદેશ, બિહાર, ચંદીગઢ, છત્તીસગઢ, દિલ્હી, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, કેરળ, લક્ષદ્વીપ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પોંડિચેરી, રાજસ્થાન, પંજાબ, સિક્કીમ, તામિલનાડુ, તેલંગાણા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડમાં ખંડગ્રાસ ગ્રહણ દેખાશે. માટે તેનો દોષ લાગશે અને તેના વેધાદી નિયમો પાળવાના રહેશે. ભાવનગરમાં ચંદ્રોદય 18.45 નો છે આથી ભાવનગરમાં આ ગ્રહણ માંઘ સ્વરૂપે દેખાશે. જેથી વેધાદિ નિયમો પાળવાની જરૂર રહેશે નહીં. કઈ રાશિને લાભ અને કઈ રાશિને નુકસાન આ શહેરોમાં ગ્રહણ નિયમો પાળવાના નહીં રહે ગ્રહણ સમય, મોક્ષ
વેધર રિપોર્ટ:બપોરે ગરમી અને રાત્રે ઠંડા પવન સાથે બેવડી ઋતુ
શહેરમાં વાતાવરણમાં દરરોજ નોંધપાત્ર ફરફાર થઇ રહ્યો છે જેમાં આજે બપોરે તાપમાન વધીને 31.8 ડિગ્રી થઇ જતા ગરમીનો અનુભવ થયો જ્યારે રાત્રે પવનના સુસવાટાને લીધે ઠંડીનો ચમકારો હોય બેવડી ઋતુનો અનુભવ શહેરીજનોને થયો હતો. ભાવનગર શહેરમાં આજે સાંજના સમયે 12 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો હતો. બપોરના સમયે ગરમી અને બફારો વધ્યો જ્યારે રાતે ઠંડીનું પ્રમાણ વધ્યું હતુ. હોળી-ધુળેટીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે બેવડી ઋતુનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. હજુ 7 દિવસ સુધી વાતાવરણમાં મોટો ફેરફાર નહિ આવે. 10 માર્ચ બાદ ગરમીની શરૂઆત થશે. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 29.7 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે 2.1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 31.8 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ તેમજ સવારે હવામાં ભેજનું પ્રમાણ 68 ટકા નોંધાયુ હતુ. આજે શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન પણ વધ્યું હતુ. શહેરમાં સાંજના સમયે હવામાં ભેજનું પ્રમાણ 34 ટકા રહ્યું હતુ. લઘુત્તમ ઉષ્ણતામાન 18.6 ડિગ્રી હતુ તે 1.4 ડિગ્રી વધીને 20 ડિગ્રી થયુ પણ ઠંડા પવનના સૂસવાટાને લીધે રાતના સમયે ઠંડીનો ચમકારો રહ્યો હતો.
સન્ડે ફોટો સ્ટોરી:નવા બંદર રોડ પર પક્ષીતીર્થ સ્વરૂપે વિકસેલું અમૃત સરોવર
ભાવનગરમાં નવા બંદર નજીક અમૃત સરોવર જ્યાં જળ, જીવન અને પરિવહનનો સંગમ થાય છે. આ સરોવર પક્ષીતીર્થ રૂપે પણ વિકસી રહ્યું છે. જેની આસપાસ ખેતી, પરિવહન માટે રોડ તેમજ મનુષ્ય અને પશુ પક્ષી માટે જળના સંગમથી નયનરમ્ય બન્યુ છે. અહીં સાંજના સમયે સીગલ પક્ષી ઉડતા જોવા મળે છે. નવા બંદર રોડ પર અમૃત સરોવર/પૂર્ણ તળાવ-2 અને સુભાષનગર પાસે અમૃત સરોવર વિકસાવવામાં આવ્યા છે. સામાન્ય રીતે અમૃત સરોવર ઓછામાં ઓછી 1 એકર જમીન અને 10 હજાર ઘનમીટર પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે
કોર્પોરેશન સામે આક્ષેપો થતા આવ્યા છે, પરંતુ સીદસર ટીપી સ્કીમની પાર્કિંગના હેતુ માટેની રિઝર્વ જમીન વેચવામાં તેમજ તે જમીનના વેલ્યુએશન માટે ઓનરેકોર્ડ ખોટું થયાનું દેખાય આવે છે. સેલ ફોર રેસીડન્ટ અને સેલ ફોર કોમર્શિયલ સિવાયની ટીપીની રિઝર્વ જગ્યા વેચી શકાતી નથી. તેમ છતાં વેચવા માટે કોર્પોરેશને મન પણ મનાવી લીધું અને તે જ ટીપી સ્કીમમાં એક જ રોડ પર સામસામે આવાસ યોજનાની દુકાનો માટે જમીનના કરવામાં આવેલા મૂલ્યાંકનમાં જમીન આસમાનનો તફાવત છે. રિઝર્વની ફ્રન્ટની જમીન વહેંચી મળતીયાની જમીનને રોડ ટચનો લાભ આપતા હોવાનું સ્પષ્ટરીતે બહાર આવ્યુ છે. એક જ કિસ્સામાં કોર્પોરેશનની જમીન વેચવા અને ભાવ નક્કી કરવાના બબ્બે વિવાદો સપાટી પર આવ્યા છે. શહેરના હિલપાર્કથી શાંતિલાલ શાહ કોલેજ બુધેલ રોડ પર સર્વે નંબર 84 ની સૂચિત 18 નંબરની ટીપીમાં આવતી ખાનગી માલિકીની જમીન લોક થઈ જતી હોવાનું કારણ ધરી કોર્પોરેશનના ફાઇનલ ટીપી સ્કીમ નંબર 5/A સીદસરનની 18 મીટર રોડને ટચ થતી પાર્કિંગના હેતુ માટે રિઝર્વ ફાઇનલ પ્લોટ નંબર 59 પૈકીની જમીન એપ્રોચ રોડ તરીકે વેચાણ કરવા કોર્પોરેશન દ્વારા સ્ટેન્ડિંગમાં મંજુર કરી લીધી હવે નિર્ણય માટે સરકારમાં મોકલવામાં આવશે. કોર્પોરેશનની જમીન કોમર્શિયલ અને રહેણાંકના વેચાણના હેતુ માટેની રિઝર્વ જગ્યા વેચી શકે છે. પરંતુ પાર્કિંગના હેતુ માટેની રિઝર્વ જમીન વેચવા કાઢી છે. એટલું જ નહીં પરંતુ જમીન વેચાણ માટે કોર્પોરેશનની નિયુક્ત કરેલી વેલ્યુએશન કમિટી દ્વારા ભાવ નક્કી કરાયા તેમાં પણ મોટી વિસંગતતા બહાર આવી છે. સીદસર ટીપી સ્કીમ નંબર 5/એ પૈકીની પાર્કિંગ હેતુની રિઝર્વ જમીન ખાનગી માલિકીની જમીનને એપ્રોચ રોડ તરીકે આપવા માટે વેલ્યુએશન કમિટી દ્વારા 53000 રૂપિયા પ્રતિ ચોરસ મીટરના જમીન વેચાણથી આપવા માટે ભાવ નક્કી કર્યા હતા. સક્ષમ સત્તા દ્વારા 4000 રૂપિયાનો વધારો કરી રૂ.57000 ભાવ મુજબ વેચાણ આપવા નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે આ જ સિદસર ટીપી સ્કીમ નંબર 5/એ માં આવાસ યોજના અંતર્ગત 81 દુકાનો જાહેર હરાજીથી વેચાણ કરવાની હોવાથી તેનું મૂલ્યાંકન કરવા માટે વેલ્યુએશન કમિટીએ દરેક પાસા જોયા બાદ જમીનની કિંમત 79,100 થી લઈ 89,100 સુધીની નક્કી કરવામાં આવી છે. કોર્પોરેશનની પાર્કિંગ માટેની રિઝર્વ જમીન ખાનગી માલિકીને વેચાણથી આપવા માટે વેલ્યુએશન કમિટીએ 57,000 ભાવ નક્કી કર્યો અને સરકારી આવાસમાં દુકાનો બનાવવા માટે અને તે દુકાનો હરાજીથી વેચાણ માટે જમીનની કિંમત 89,100 સુધી મૂલ્યાંકન કમિટી દ્વારા મૂલ્ય નક્કી કર્યું. એક જ ટીપી અને 18 મીટરના રોડ પર સામ સામે આવેલી બંને જમીનના ભાવમાં જમીન આસમાનના તફાવત છે. જે સ્પષ્ટ રીતે ખરેખર જે જમીન વેચી શકાય નહીં તે જમીન ખાનગી માલિકીને ઓછા ભાવે રિઝર્વની જમીન વેચી મારવાની પેરવી દેખાય છે. ટીપી સ્કીમ બનશે ત્યારે રોડ રસ્તા ખુલ્લા થશે જજે ખાનગી જમીનના માલિકની જમીન લેન્ડ લોક થઈ ગઈ હોવાનું કારણ આગળ ધરી કોર્પોરેશનના પાર્કિંગના હેતુની રિઝર્વ જગ્યા વેચાણથી આપવા કાર્યવાહી કરવામાં આવી છે તે જમીન સૂચિત ટીપી સ્કીમ નંબર 18 માં આવેલી છે. અને જ્યારે આ ટીપી બનશે ત્યારે આપોઆપ તમામ જમીનને રોડ રસ્તા આપી ખુલ્લી કરવામાં આવશે જ. તો હાલમાં કોર્પોરેશનને પાર્કિંગની જગ્યા વેચવાનો હેતુ અનેક શંકા કુશંકા ઉભી કરે છે. વિવિધ પરિબળો ચકાસી ભાવ નક્કી થાય છેકોર્પોરેશનની જમીન વેચવા માટે સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ જુદા જુદા પેરામીટર જેમકે, તેને લાગુ રોડ, આસપાસના નિયત કરેલ માપમાં આવતા એરીયા સહિત અનેક પરિબળો ચકાસી વેલ્યુએશન કમિટી દ્વારા ભાવ નક્કી કરવામાં આવતા હોય છે. - જયકુમાર કે.રાવળ, નાયબ કમિશનર મહાનગરપાલિકા શું છે જમીનની મૂલ્યાંકન પદ્ધતિસરકારી અને સરકારનું હિત સમાયેલ હોય તેવી જમીનના મૂલ્યાંકન માટે સરકાર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે જે મુજબ જમીનનું ક્ષેત્રફળ, આસપાસની નિયત ત્રિજ્યામાં છેલ્લા એક વર્ષના સરખામણીપાત્ર વેચાણ, સર્વે નંબર, FSI, મૂલ્યાંકનનો હેતુ, વેચાણ વાળી જમીનને મળતા પ્રવેશ રસ્તાની પહોળાઈ સહિતના પેરામીટર મુજબ મૂલ્યાંકન કરાય છે.
સૌરાષ્ટ્ર સમાચાર એક્સક્લુઝીવ:અલંગને ઇ.યુ.ની માન્યતા માટે પ્રયત્નો છતાં યાદીમાંથી ગાયબ
લાંબા અરસાથી અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડમાં યુરોપીયન યુનિયન (ઇ.યુ.)ની માન્યતા મેળવવા માટેના અથાક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ વધુ એક વખત અલંગ પ્રત્યે ઇ.યુ.એ મોઢું ફેરવી લીધુ છે. યુરોપિયન કમિશને તેની યુરોપિયન શિપ રીસાયક્લિંગ સુવિધાઓની યાદીની 15મી આવૃત્તિ પ્રકાશિત કરી છે. જે બ્લોકના મંજૂર થયેલા રીસાયકલિંગ યાર્ડ્સમાં એક મહત્વપૂર્ણ અપડેટ છે. પ્રથમ વખત, એમ્ડેનમાં સ્થિત એક જર્મન શિપયાર્ડને મોટા ઇ.યુ.-ફ્લેગવાળા જહાજોને રીસાયકલ કરવા માટે અધિકૃત સુવિધાઓમાં સામેલ કરવામાં આવ્યું છે. યુરોપિયન જહાજ માલિકો ટનેજ દ્વારા વૈશ્વિક શિપ કાફલાના લગભગ 30 ટકા હિસ્સો ધરાવે છે. અલંગના 6 શિપ રીસાયકલિંગ જૂથોએ ઇ.યુ.ની માન્યતા મેળવવા માટે તમામ પ્રક્રિયાઓ કરી હતી, અને તબક્કાવાર ચકાસણો, ઓડિટ, મુલ્યાંકન સહિતની પ્રક્રિયાઓ પણ પુરી કરી હતી. યુરોપીયન યુનિયનની સુધારેલી યાદીમાં ડેનમાર્ક, એસ્ટોનિયા, લિથુઆનિયા અને સ્પેનમાં સ્થિત ચાર યુરોપિયન યુનિયન-આધારિત શિપયાર્ડનો સમાવેશ રિન્યૂ કરવામાં આવ્યો છે. વધુમાં, તુર્કીમાં એક સુવિધાને તેની અધિકૃતતા લંબાવવામાં આવી છે. જોકે, અપડેટેડ રોસ્ટરમાંથી ત્રણ શિપયાર્ડને દૂર કરવામાં આવ્યા છે. એક ફિનિશ યાર્ડ તેની અધિકૃતતા રિન્યૂ કરવામાં નિષ્ફળ ગયો, ઇ.યુ.ની યાદીમાં સમાવિષ્ટ શિપ રીસાયક્લિંગ સુવિધાઓને ઇ.યુ.ના સભ્ય દેશના ફ્લેગ લહેરાતા મોટા દરિયાઈ જહાજોને તોડી પાડવાની મંજૂરી આપવામાં આવે છે. અપડેટ કરેલી ઇ.યુ.ના લિસ્ટમાં હવે 41 માન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે, 30 યુરોપમાં સ્થિત છે, જેમાં યુરોપીયન યુનિયન, નોર્વે અને યુનાઇટેડ કિંગડમનો સમાવેશ થાય છે. 10 તુર્કીમાં, અને એક યુનાઇટેડ સ્ટેટ્સમાં. આમાંથી ઘણા યાર્ડ મોટા જહાજોને હેન્ડલ કરવા માટે સજ્જ છે. શા માટે અલંગને ઇ.યુ.ની આશા હતી?અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડ ખાતે આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબની તમામ સવલતો મોજુદ છે, અને હોંગકોંગ કન્વેન્શનનો પણ સ્પષ્ટપણે અમલ કરવામાં આવી રહ્યો છે. અલંગના 90 ટકા યાર્ડ એચ.કે.સી. મુજબના છે. ઇ.યુ.ની માન્યતા મેળવવા માટે 5 વર્ષથી સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા, અને સવલતો પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
લિંબાયત લાંચ કેસ:લાંચની 4 લાખની રકમ વચેટિયા પરવાનાએ ગણેશવાલાને આપ્યા કે કેમ તેની તપાસ કરાશે
લિંબાયતમાં ગેરકાયદે બાંધકામના ડિમોલિશનને અટકાવવા 21 લાખની લાંચ માગનારા કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલાને આજે કોર્ટમાં હાજર કરી એસીબીએ 5 દિવસના રિમાન્ડ માંગતા બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયાહતા. રિમાન્ડ દરમિયાન પોલીસે મુદ્દો ઉઠાવ્યો હતો કે આ કેસમાં અન્ય આરોપી ઇસ્લામ ઉર્ફે પરવાના પઠાણ ટ્રેપ દરમિયાન 4 લાખ લઇને નાસી ગયો હતો અને સંભાવના છે કે રુપિયા તેણે ગણેશવાલાને આપ્યા હોય. રિમાન્ડના મુદ્દા: ગેરકાયદે બાંધકામમાં કેટલો તોડ
પોલીસે AM/NS તોડફોડ અને આગચંપીની ઘટનામાં અત્યારસુધીમાં 55 આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા તમામ આરોપીઓને એક દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે અને તેમની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસ દરમિયાન, આરોપીઓએ પોલીસને જણાવ્યું હતું કે તેમને વારંવાર ચોક્કસ વીડિયો બતાવીને ઉશ્કેરવામાં આવ્યા હતા, જેના કારણે ગુસ્સામાં તોડફોડ અને આગચંપી થઈ હતી. પોલીસનું કહેવું છે કે પાણીપત સંબંધિત વેતન વિવાદના વીડિયો મોકલીને કામદારોનું મગજ ધોવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પાંચથી છ મજૂર કોન્ટ્રાક્ટરોની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે શું આ ઘટના પાછળ કોઈ પૂર્વયોજિત કાવતરું હતું કે શું કામદારોને ખરાબ વાતાવરણ બનાવવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા. કોન્ટ્રાક્ટરોએ મજૂરોને કેમ ભડકાવ્યા તેની પણ પોલીસ તપાસ કરી રહી છેએક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, કામદારો સામાન્ય રીતે તેમના મજૂર કોન્ટ્રાક્ટર સાથે સીધો સંપર્ક ધરાવતા હોય છે, જે કંપની મેનેજમેન્ટ સાથે વાતચીત કરે છે. જોકે, આ કેસમાં સંજોગો અલગ હોય તેવું લાગે છે. પોલીસે પાંચથી છ મજૂર કોન્ટ્રાક્ટરોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ શરૂ કરી છે. તપાસ એ બાબત પર કેન્દ્રિત છે કે કામદારોને કોઈ સ્તરે ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા કે ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા હતા. અધિકારીઓ કહે છે કે કામદારો અચાનક કેવી રીતે હિંસક બન્યા તે એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે અને કોન્ટ્રાક્ટરની ભૂમિકાની પણ સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં ખબર પડી કે કેટલાક લોકોએ કામદારોને ભડકાવવા જ વીડિયો બતાવ્યોપોલીસ તપાસમાં એક મહત્વપૂર્ણ હકીકત બહાર આવી છે કે ધરપકડ કરાયેલા આરોપીઓએ પૂછપરછ દરમિયાન વીડિયો દ્વારા ઉશ્કેરવામાં આવ્યા હોવાની કબૂલાત કરી છે. એવું જાણવા મળ્યું છે કે વેતન વિવાદ સંબંધિત કેટલાક વીડિયો વારંવાર કામદારોને મોકલવામાં આવ્યા હતા, જેના કારણે તેમનામાં અસંતોષ અને ગુસ્સો ફેલાયો હતો. પોલીસ એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે કે આ વીડિયો કોણે મોકલ્યા અને તેની પાછળ કોના હેતુઓ હતા. તપાસ એજન્સીઓ ડિજિટલ પુરાવાઓની પણ તપાસ કરી રહી છે કે શું પરિસ્થિતિ સ્વયંભૂ હતી કે કાવતરું હતું? વીડિયો હિંસા ભડકાવવા માટે હતો : ડીસીપીડીસીપી બરવાલે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા વ્યક્તિઓએ કહ્યું હતું કે તેઓ એક જૂથમાં હતા. આ વીડિયો હિંસા ભડકાવવા માટે પોસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે, તેમણે હજુ સુધી કોઈનું નામ લીધું નથી. ઉશ્કેરણી કરનારાઓ તેમના પોતાના રેન્કમાંથી છે અને અહીં છે.
વિદ્યાર્થીએ જીવાદોરી કાપી:ડિંડોલીમાં પરીક્ષાના તણાવમાં ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીએ ફાંસો ખાધો
નવાગામ ડિંડોલીના પ્રહલાદ પાટીલ નો 17 વર્ષીય પુત્ર શ્રીકાંત ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. શનિવારે તેનું કેમેસ્ટ્રીનું પેપર હતું. જોકે કેમેસ્ટ્રીનું પેપર આપે તે પહેલા જ તેણે રસોડામાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ડિંડોલી પોલીસની પ્રાથમિક તપાસમાં પરિક્ષાના તણાવમાં શ્રીકાંતે આપઘાતનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
લૂંટેરી દુલ્હન ઝડપાઈ:લાખોની મતા સાથે છૂ થયેલી લૂંટેરી દુલ્હન 3 વર્ષે ઝડપાઇ
કતારગામમાં ગેરેજ ચલાવતાં યુવક સાથે લગ્ન કરીને 5 જ દિવસમાં રૂ.1.80 લાખની મત્તા લઇને નાસી ગયેલી લૂંટેલી દુલ્હનને ચોકબજાર પોલીસે મહારાષ્ટ્રના નાસિક થી ઝડપી પાડી છે. આ દુલ્હન છેલ્લા ત્રણ વર્ષથી નાસતી ફરતી હતી. કતારગામ હરિઓમ સોસાયટીમાં રહેતા મહેશ તરસરીયા લગ્ન કરવા માટે ઇચ્છુક હતા.દરમિયાનમાં તેને મિત્ર દ્વારા હર્ષદ કાનજી પ્રજાપતિ લગ્ન કરાવી આપતા હોવાનું જણાવ્યું હતું. જેથી મહેશે તેનો સંપર્ક કરતા તેણે દલાલ મોમીન અને ગણેશ બંડુ મારફતે વર્ષ 2022માં અમદાવાદ ખાતે કવિતા વાઘ સાથે મુલાકાત કરાવી હતી. મહેશને કવિતા પસંદ આવતા લગ્ન નક્કી કર્યા હતા.જેમાં 1.05 લાખ લગ્ન ખર્ચ, 8,500 દલાલી અને રૂ.10 હજાર ભાડા ખર્ચનું નક્કી થયું હતું. મહેશે પૈસા આપી દીધા બાદ તા.12-4-2022ના રોજ તેમના લગ્ન થયા હતો. લગ્નના 5માં દિવસે કવિતાએ માતાની તબીયત ખરાબ હોવાનું કહીને મહેશ પણ તેની સાથે નાસિક ગઇ હતી. બસ સ્ટેન્ડ પર કવિતા મહેશને બેસાડીને બહેનપણીના ઘરે કપડા બદલીને આવુ છું કહીને રૂ.34.500ની મત્તા લઇને નાસી ગઇ હતી. 8 મહિના સુધી રાહ જોઇ છતાં કવિતા પરત નહીં આવતા વર્ષ 2023માં મહેશે ચોકબજાર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં પોલીસે દલાલ હર્ષદ, મોમીન વગેરેની ધરપકડ કરી હતી. જ્યારે છેલ્લા ત્રણ વર્ષથી નાસતી ફરતી કવિતા સુનિલ વાઘ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના તલેગાંવમાં હોવાની માહિતી મળતા ચોકબજાર પોલીસની એક ટીમ ત્યાં પહોંચી હતી અને કવિતાને પકડી પાડી હતી. કવિતાના પણ 3 સંતાનકવિતાને ત્રણ સંતાનો છે જેમાં મોટો દિકરો 16 વર્ષનો છે. સુરતથી ભાગીને કવિતા તેના પિતા સુનિલ વાઘ પાસે તલેગાંવ પહોંચી ગઇ હતી. જ્યાં પિતા પુત્રી મજુરી કામ કરીને ગુજરાન ચલાવે છે. પોલીસ અગાઉ પણ તેને પકડવા ગઇ હતી. પણ પોલીસ આવ્યાની ગંધ આવી જતા તે નાસી ગઇ હતી.
ગાંજાનો મોટો જથ્થો ઝડપાયો:ઓલપાડમાં 3 રીઢા 45 લાખના 88 કિલો ગાંજા સાથે ઝડપાયા
ઓલપાડ તાલુકો ગાંજાના વેચાણનું હબ બન્યું હોય એમ ચાલુ સપ્તાહમાં બીજી વખત રૂપિયા 45 લાખની કિમંતના ગાંજાનો જથ્થો ઝડપાયો છે. કારેલી ગામ ખાતે ગાંજાની મોટાપાયે હેરફેરી થવાની હોવાની બાતમીને આધારે પોલીસે પાડેલી રેડ દરમિયાન શામજી નગર સોસાયટીના એક મકાનમાંથી 88 કિલો જેટલો ગાંજાનો મોટાં જથ્થા સાથે ગુનાઇત ઇતિહાસ ધરાવાતા ત્રણ રીઢા આરોપીઓ 45 લાખ રૂપિયાના ગાંજા સાથે ઝડપાયા હતા. 88 કિલો જેટલા વિશાળ ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીઓ રવિન્દ્ર જૈન ( રહે. વરાછા રોડ ), દિનેશન બંસીલાલ કીર ( નનસાડ ) અને રાહુલ રતનલાલ ખટીક ( બોમ્બે માર્કેટ પાસે ) ગાંજાના જથ્થો એક સાથે વેચી દેવાની તૈયારીમાં હતા. આ ત્રણેય આરોપીઓ પ્રોહીબીશન અને ચોરીના કેસમાં સંડોવાયેલા છે. જયારે એક તો સુરતના ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં લૂંટ વીથ અપહરણના ગુનામાં પણ સંડોવાયેલો છે. આ રિઢા ગુનેગારો અંગે એ.હે.કો અશોક પટેલ તેમજ પ્રવિણભાઈને બાતમી મળ્યા બાદ પી.આઈ. જાદવ અને દેસાઈ સહિત સ્ટાફે દરોડા પાડ્યા હતા. શુક્રવારે બપોરે ચાર વાગ્યે શરૂ થયેલી રેડ અને તપાસની કામગીરી રાત્રે બાર વાગ્યા સુધી ચાલી હતી. જેમાં જથ્થો ખરીદવા માટે ક્રેટા કાર આવવાની રાહ જોયા બાદ પંચોની હાજરીમાં સમગ્ર ઓપરેશન પાર પાડી આરોપીઓના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી હતી.
ગુજરાત બોર્ડની ધોરણ-10 વિજ્ઞાનની પરીક્ષામાં પેપર ખૂબ જ સરળ રહ્યું છે. પેપરમાં પૂછાયેલા પ્રશ્નોથી ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પેપરમાં પૂછાયેલા સવાલોમાં તાજા દૂધની pH (ખટાશ) 6 છે, તો તે દહીંમાં ફેરવાય ત્યારે તેની pHમાં શું ફેરફાર થાય? અને ગ્રહો કેમ ટમટમતા નથી? જેવા પ્રશ્નોએ વિદ્યાર્થીઓની વૈજ્ઞાનિક સમજની કસોટી કરી હતી. ઉપરાંત, રેલવેના પાટા જોડવાની થર્માઇટ પ્રક્રિયા અને મેગ્નેશિયમની પટ્ટીને સાફ કરવા પાછળના તર્ક જેવા પ્રશ્નો પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. વિજ્ઞાન શિક્ષક સમીર ગજ્જર કહે છે કે મધ્યમ વિદ્યાર્થીઓ પણ સારી રીતે માર્ક્સ લાવી શકે તેવું આ પેપર હતું, જેમાં વ્યવહારુ રીતે અગત્યના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ગત વર્ષની જેમ પેપર સરળ હોવાના કારણે આ વખતે પણ વિજ્ઞાન વિષયમાં વિદ્યાર્થીઓના પરિણામમાં સુધારો થશે અને માર્ક્સ વધશે તેવી પૂરી શક્યતા છે. હોશિયાર વિદ્યાર્થીઓ 80માંથી 80 ગુણ લાવી શકે તેવું આ પેપર કહી શકાય. જે વિદ્યાર્થીઓએ ટેક્સ્ટબુકનું લાઈન ટુ લાઈન રીડિંગ કર્યું હશે, તેમને MCQ, દાખલા કે અન્ય પ્રશ્નો સોલ્વ કરવામાં જરાય તકલીફ પડી નથી. રસાયણશાસ્ત્રઃ MCQના સવાલો ગેમચેન્જર સાબિત થશેધો.12 વિજ્ઞાન પ્રવાહના રસાયણશાસ્ત્રના પેપર અંગે તજજ્ઞ રોનક દાણીએ જણાવ્યું કે, પેપર ‘બેલેન્સ્ડ’ હતું, પરંતુ MCQ વિભાગમાં પૂછાયેલા કેટલાક પ્રશ્નો ‘ગેમ ચેન્જર’ સાબિત થશે. પ્રશ્ન નંબર 30, જેમાં “1.5 એમ્પિયર પ્રવાહ ધાત્વીય તારમાંથી 3 કલાક માટે વહે છે, તો કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે?” તે દાખલાએ વિદ્યાર્થીઓને મૂંઝવણમાં મૂક્યા હતા. આ પ્રશ્નમાં સમયને સેકન્ડમાં ફેરવીને લોગ ટેબલ વગર ગણતરી કરવાની હોવાથી સમય વેડફાયો હતો. વાણિજ્ય વ્યવસ્થા: વધુ પડતા જાહેરાત ખર્ચ થી શું થાય?ધોરણ-12 વાણિજ્ય વ્યવસ્થાના પ્રશ્નપત્રમાં વધુ પડતો જાહેરાત ખર્ચ કરવાથી શું થાય? અને ગ્રાહક સુરક્ષા ધારા મુજબ ગ્રાહકના અધિકારો જેવા પ્રાયોગિક સવાલો આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. તજજ્ઞ શિક્ષક કૃતિ જોષીના જણાવ્યા અનુસાર સેક્શન C, D અને E ના મોટાભાગના પ્રશ્નો સ્વાધ્યાય આધારિત હોવાથી વિદ્યાર્થીઓને ખાસ મુશ્કેલી પડી નથી. જોકે, CPC અને જાહેરાત ખર્ચ જેવા પ્રશ્નોમાં વિદ્યાર્થીઓની બૌદ્ધિક ક્ષમતાની ખરી કસોટી થઈ હતી.
વરાછાની વિધાવાના મૃતક પતિના નામે બોગસ વીલ બનાવી તેના આધારે વીમા પોલીસી અને મિલકત મળીને રૂ.2.72 કરોડની છેતરપિંડી કરાઇ હતી. આ કેસમાં વરાછા લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા હિરલબેન જયેશભાઈ લાખાણીએ ઉત્રાણ પોલીસમાં તેના દિયર મયુર લાખાણી, સસરા રાણાભાઈ બચુભાઈ લખાણી, સાસુ કંચનબેન લાખાણી (મોટા વરાછા), કાકા સસરા જીગ્નેશ લાખાણી (અડાજણ), કાકા સસરા રમેશ લાખાણી (વેસુ)અને વીલમાં સાક્ષી તરીકે સહી કરનાર કનૈયાલાલ માંગુકીયા ( મોટા વરાછા) અને હિતેશ જીવરાજ સવાણી (હિરાબાગ) સામે ફરિયાદ નોધાવી હતી.
સમસ્ત પાટીદાર સમાજ ભવન કતારગામ આંબા તલાવડી ખાતે સુરત શહેર નાગરિક સમિતિ દ્વારા શહેર પોલીસ માટે શૌર્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે માત્ર સુરત એક એવું શહેર છે જે ચારે દિશામાં વિકાસ પામી રહ્યું છે. 90 લાખ જેટલી ધરાવતું અને ભારતના તમામ રાજ્યોના અને ગુજરાતના તમામ જિલ્લાઓના લોકો અહીં આવીને વસ્યા છે તેથી મીની ભારત છે ત્યારે તમામ નાગરિકોની સુરક્ષા માટે ખૂબ જ મોટા પડકારોનું સામનો પોલીસ દળે કરવો પડતો હોય છે. પરંતુ આગેવાનો હંમેશા શહેરના હિત માટે તૈયાર હોય છે અને સરકાર તરફથી સંપૂર્ણપણે સહકાર મળતો હોવાથી પોલીસની કામગીરી ઘણી સરળ બની જતી હોય છે. મનપાએ 1400 કેમેરા લગાવવા માટે 133 કરોડ રૂપિયા બજેટમાં ફાળવ્યા છે તે પણ ખૂબ જ સરાહનીય બાબત છે. શહેર પોલીસની મજબૂત તપાસ ઉમદા કામગીરીમુખ્ય સરકારી વકીલ નયન સુખડ વાલાએ જણાવ્યું હતું કે 450 કેસોમાં સફળતા મેળવી છે તેનું કારણ પોલીસની મજબૂત તપાસ ઉમદા કામગીરી અને સરકારની પૂરેપૂરી મદદ. સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ કહ્યું હતું કે પોલીસની સક્રિયતાને લીધે 100માંથી 95 ગુના ઉકેલાઈ જાય છે. રાજ્યના નાયબ મુ.મંત્રી હર્ષ સંઘવી પણ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ જોડાયા હતા.
અમેરિકા-ઇઝરાયલે ઇરાન પર કરેલા હુમલાની અસર:સુરતથી દુબઈ અને શારજાહની ફ્લાઇટ 2 માર્ચ સુધી ગ્રાઉન્ડેડ
અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઇરાન વિરુદ્ધ શરૂ થયેલા સૈન્ય સંઘર્ષની જ્વાળાઓ હવે સુરતના આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગો સુધી પહોંચી છે. મધ્ય પૂર્વના દેશોમાં યુદ્ધની ગંભીર સ્થિતિને કારણે એર સ્પેસ બંધ કરી દેવામાં આવતા સુરત એરપોર્ટથી દુબઈ અને શારજાહ જતી તમામ ફ્લાઇટ્સ 2 માર્ચ સુધી સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવી છે. આ અચાનક આવેલા નિર્ણયથી સુરત અને દક્ષિણ ગુજરાતના હજારો પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. શનિવારે ઇન્ડિગો એરલાઇન્સની સુરત-દુબઈ ફ્લાઇટ સફળતાપૂર્વક દુબઈ પહોંચી હતી. પરંતુ વિમાન લેન્ડ થયાના થોડા જ સમયમાં યુદ્ધના કારણે એર સ્પેસ બ્લોક થઈ જતાં આ વિમાન સુરત પરત આવી શક્યું નહોતું. આ જ વિમાન સુરત પરત આવ્યા બાદ હૈદરાબાદ જવા રવાના થવાનું હતું, પરંતુ વિમાન ઉપલબ્ધ ન હોવાને કારણે સુરત-હૈદરાબાદ ફ્લાઇટ પણ રદ કરવી પડી હતી. એર ઇન્ડિયા એક્સપ્રેસે પણ શારજાહ અને દુબઈના પોતાના તમામ રૂટ 2 માર્ચ સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે.
ટેક્સટાઈલ ઉદ્યોગમાં ઉત્પાદન પર અસર પડી:ટેક્સટાઈલમાં 30% કારીગરોની અછત, ઉપરથી હોળીની રજાથી હાલત બગડી
સુરત શહેરની વિવિધ ઉદ્યોગોમાં કારીગરોની અછતનો પ્રશ્ન યથાવત રહ્યો છે અને હોળીના તહેવારોને પગલે પરપ્રાંતિય કારીગરો પોતાના વતન તરફ જતા ટેક્સટાઈલ ઉદ્યોગમાં ઉત્પાદન પર સીધી અસર જોવા મળી રહી છે. શહેરના પાવરલૂમ, પ્રોસેસિંગ, એમ્બ્રોઇડરી અને ડાંઈગ એકમોમાં પહેલાથી જ મેનપાવરની કમી હતી, તેમાં હોળી વેકેશનને કારણે મોટી સંખ્યામાં કામદારો રવાના થતાં કારખાનેદારોને ઓર્ડર સમયસર પૂર્ણ કરવામાં મુશ્કેલી પડી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી લોકલ મજૂરો આ ક્ષેત્રમાં આવતાં નથી અને ઉદ્યોગનો મોટો આધાર ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા અને ઝારખંડના કારીગરો પર છે. હોળી જેવા મોટા તહેવારો દરમિયાન તેઓ એક સાથે રજા પર જતા હોવાથી ઉત્પાદન ક્ષમતા 30થી 40 ટકા સુધી ઘટી જાય છે. કારીગરો પરત ફર્યા બાદ સ્થિતિ સામાન્ય બનશેસચિન જીઆઈડીસી એસોસિએશનના ડિરેક્ટર મહેન્દ્ર રામોલિયાએ કહ્યું હતું કે, ‘સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં મેનપાવરની અછત હવે સિઝનલ નહીં પરંતુ સ્ટ્રક્ચરલ સમસ્યા બની રહી છે. પરપ્રાંતીય કારીગરો પર વધતી નિર્ભરતા, લોકલ વર્કફોર્સનો અભાવ અને ઓટોમેશનનો ઊંચો ખર્ચ – આ ત્રણેય પરિબળો ઉત્પાદન ખર્ચ અને ડિલિવરી સાયકલ પર અસર કરે છે. હોળી પછી કારીગરો પરત ફર્યા બાદ સ્થિતિ સામાન્ય બનશે, પરંતુ લાંબા ગાળે ઉદ્યોગને સ્કિલ ડેવલપમેન્ટ અને મશીન અપગ્રેડેશન તરફ જવું અનિવાર્ય બનશે.’
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટમાં અગ્રણી સુરતના ઉદ્યોગકારો માટે ગલ્ફ માર્કેટમાં પ્રવેશ હવે વધુ સરળ બનશે. કારણ કે, જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)એ GCC (ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલ)માં આવતા UAE, સાઉદી અરેબિયા, કતર, ઓમાન, બહેરીન, કુવૈત માટે કસ્ટમ્સ ગાઇડલાઇન જાહેર કરી છે, જેથી ડાયમંડ અને જ્વેલરી એક્સપોટર્સને શિપમેન્ટ પ્લાનિંગ અને કોમ્પલાયન્સની પ્રક્રિયામાં મોટી રાહત મળશે. ગલ્ફ દેશોની આયાત પ્રક્રિયા, કસ્ટમ ડ્યુટી, વેટ, હોલમાર્કિંગ અને કિમ્બર્લી પ્રોસેસ જેવા નિયમોની વિગતવાર માહિતી આ ગાઇડમાં આપી છે. જીસીસી દેશો ભારતના જેમ એન્ડ જ્વેલરી સેક્ટર માટે મુખ્ય બજાર છે. વર્ષ 2024-25માં 8 અબજ ડોલરની નિકાસ થઈ હતી, જે ગ્લોબલ શિપમેન્ટનો 27% હિસ્સો છે. સુરતમાંથી કટ-એન્ડ-પોલિશ્ડ ડાયમંડ અને ગોલ્ડ-પ્લેટિનમ જ્વેલરીના મોટા પ્રમાણમાં રિ-એક્સપોર્ટ થવાના કારણે આ ગાઇડ એક્સપોર્ટર્સ માટે સ્ટ્રેટેજિક ટૂલ સાબિત થશે. જીસીસી દેશોમાં સરેરાશ 5% આયાત ડ્યુટી છે, જ્યારે યુએઈ અને ઓમાન જેવા બજારોમાં CEPA(કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ FTA (ફ્રિ ટ્રેડ એગ્રીમેન્ટ)ના લાભ ઓરિજિન ડોક્યુમેન્ટેશન આધારે મળી શકે છે. જેના કારણે સુરતના મેન્યુફેક્ચરર્સ માટે કોસ્ટ કોમ્પિટીટીવનેસ વધશે. ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રો મુજબ, ‘નવા એક્સપોર્ટર્સ માટે સૌથી મોટો પડકાર કસ્ટમ્સ ડિલે અને ડોક્યુમેન્ટેશનનો રહેતો હતો. હવે સ્ટાન્ડર્ડ પ્રોસિજર ક્લિયર થતા સમય અને ખર્ચ બંને ઘટશે, જે એમએસએમઈ યુનિટોને ગલ્ફ માર્કેટમાં પ્રવેશ માટે પ્રોત્સાહન આપશે.’ GCC શું છે? GCC એટલે (ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલ) ગલ્ફના 6 દેશોનું આર્થિક અને વેપારી ગઠબંધન છે. જેમાં યુએઈ, સાઉદી અરેબિયા, કતાર, ઓમાન, બહેરીન અને કુવૈત આવે છે. સુરતના ઉદ્યોગકારોને ફાયદો
સિટી કેલેન્ડર:8મીએ ડુમસ સી-ફેસનું લોકાર્પણ, 13મીએ ઓટો એક્સપોનું આયોજન
1 રવિવાર: સ્વાસ્થ્ય સુરક્ષા સેશન 2 સોમવાર: ઈનર પ્યુરિફિકેશન સેશન 6 શુક્રવાર: ડેટા પ્રોડેક્શન પર સેશન 7 શનિવાર: રિટેઈલ કોન્કલેવ 7 શનિવાર: બેક ટુ ધ ગોલ્ડ ડે 8 રવિવાર: ડુમસ સી ફેસ લોકાર્પણ 8 રવિવાર: ઈમ્પોર્ટન્સ ઓફ એસ્ટેટ 12 ગુરુવાર: સીટેક્ષ મશીનરી એક્સપો 12 ગુરુવાર: કોર્પોરેટ કોન્કલેવ 13 શુક્રવાર: ઓટો એક્સપો 13 શુક્રવાર: રિસ્ક મેનેજમેન્ટ મારા કામના નંબર
કરુણ બનાવ બન્યો:પડધરી પાસે દંપતીને અકસ્માત પત્નીની નજર સામે પતિનું મોત
પડધરીની ભારત હોટેલ નજીક વાહન અકસ્માતમાં રાજકોટનું વૃદ્ધ દંપતી ખંડિત થયું છે. પતિ-પત્ની પડધરી રહેતી દીકરીને હોળીનો હારડો આપવા માટે ટૂવ્હિલર લઇને જતા હતા ત્યારે વાહન સ્લિપ થતાં અથવા તો કોઇ વાહનની ઠોકરે ચડી જતાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં પતિનું મોત થયું છે અને પત્ની ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. બનાવને પગલે મૃતકના પરિવારમાં શોક છવાયો છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ ચુનારાવાડ લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતા ધનજીભાઈ રામજીભાઇ સાકરિયા (ઉં.વ.60) તેમના પત્ની રંજનબેન (ઉ.વ.50)ને બેસાડીને પડધરી મોવૈયા સર્કલ પાસે રહેતી દીકરી સંજનાબેનને હોળીનો હારડો આપવા જવા રાજકોટથી રવાના થયા હતા. સ્કૂટર પર બંને પડધરી નજીક ભારત હોટેલ પાસે રાત્રિના સમયે પહોંચ્યા ત્યારે તેના વાહનને અકસ્માત નડતાં બંને રોડ પર ફેંકાઇ ગયા હતા અને ગંભીર ઇજાઓ થઇ હતી. બાઈકસવાર ધનજીભાઈનું મોત નીપજ્યું હતું જ્યારે તેમના પત્ની ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરતા પોલીસે રાજકોટ પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃત્યુ પામનાર ધનજીભાઇ ફિલ્ડમાર્શલ કંપનીમાં નોકરી કરતા હતા. તેમને સંતાનમાં બે દીકરા અને બે દીકરી છે. પોતે ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં બીજા હતા. બનાવથી મૃતકના પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અધિકારીઓની અછત:જિલ્લા પંચાયતમાં વર્ગ-1 અને વર્ગ-2ની 16 જગ્યા ખાલી, ચાર તાલુકા ટીડીઓ વગરના
રાજકોટ જિલ્લા પંચાયતમાં ડેપ્યુટી ડીડીઓ વિકાસ, ડેપ્યુટી ડાયરેક્ટર એનિમલ તેમજ આંકડા અધિકારી જેવી મહત્ત્વની જગ્યાઓ ખાલી હોવાથી હાલમાં એક-એક અધિકારીઓને બબ્બે જગ્યાના ચાર્જ આપી વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે. જિલ્લા પંચાયતમાં વર્ગ-1 અને 2ની 38 પૈકી 16 જગ્યા ખાલી છે. એ જ રીતે આરોગ્ય વિભાગમાં નર્સિંગ સ્ટાફની અછત હોવાની સાથે સુપરવાઈઝરની પણ અનેક જગ્યાઓ ખાલી છે. સૌથી ગંભીર બાબત એ છે કે, જિલ્લા આરોગ્ય વિભાગ હસ્તકની પદ્મકુંવરબા જનરલ હોસ્પિટલ રાજકોટ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ગોંડલ, ધોરાજી, ઉપલેટા અને જસદણમાં અધિક્ષક - આરએમઓની જગ્યા પણ ભરાયેલી ન હોવાથી ગ્રામીણ આરોગ્ય સેવાઓ સામે સવાલ ઊઠી રહ્યા છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 345 પૈકી 160 જગ્યા ખાલીરાજકોટ જિલ્લામાં કોટડાસાંગાણી, કોલીથડ, કુવાડવા, વીરપુર, ભાયાવદર, શાપર, સાણથલી, મોટી મારડ, પડધરી, વીંછિયા અને જામકંડોરણા સહિતના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વર્ગ-1ની 27 મંજૂર જગ્યા સામે 9 જગ્યા ભરેલી હોય 18 જગ્યા ખાલી છે. વર્ગ-2ની કુલ 36 પૈકી 33 જગ્યા ભરેલી છે અને 3 જગ્યા ખાલી છે. જ્યારે વર્ગ-3ની 168 જગ્યા પૈકી 106 ભરેલી અને 62 જગ્યા ખાલી છે. ઉપરાંત વર્ગ-4ની 114 મંજૂર જગ્યાઓ સામે 37 જગ્યા ભરેલી હોવાનું અને 77 જગ્યા ખાલી હોવાના સત્તાવાર આંકડા સામે આવ્યા છે. જિલ્લામાં કુલ મળી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વર્ગ-1થી 4ની કુલ 345 જગ્યા સામે 185 જગ્યા ભરેલી હોવાનું અને 160 જગ્યા ખાલી છે. એ જ રીતે જિલ્લાના 55 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મંજૂર થયેલી 495 જગ્યા સામે 221 જગ્યા ભરેલી હોવાનું અને 274 જગ્યા ખાલી હોવાનું સામે આવ્યું છે.
નમસ્તે, ગઈકાલના સૌથી મોટા સમાચાર ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના હુમલાના રહ્યા, જેના કારણે 9 દેશોમાં ભારે તબાહી મચી છે. બીજા મોટા સમાચાર પશ્ચિમ બંગાળમાં 61 લાખ મતદારોના નામ કમી કરવા સાથે જોડાયેલા રહ્યા છે.⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. પશ્ચિમ બંગાળમાં ભાજપ 'પરિવર્તન યાત્રા' કાઢશે, જે 5000 કિમીથી વધુનું અંતર કાપશે. 2. PM મોદી તમિલનાડુ અને પુડુચેરીના પ્રવાસે રહેશે. બંને જગ્યાએ 7,000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ શરૂ કરશે. કાલના મોટા સમાચારો 1. ટ્રમ્પનો દાવો- ઇતિહાસનો સૌથી દુષ્ટ માણસ ખોમૈની ખતમ:ઇઝરાયેલી અધિકારીઓ બોલ્યા- મૃતદેહ મળ્યો, ઈરાને કહ્યું- સુપ્રીમ લીડર જીવિત; હુમલામાં અત્યાર સુધી 200થી વધુ મોત ઇઝરાયેલે શનિવાર સવારે ઈરાનની રાજધાની તેહરાન સહિત અનેક શહેરો પર મોટો હુમલો કર્યો. રોયટર્સે ઇઝરાયેલી અધિકારીઓના હવાલાથી ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખોમૈનીના મોતનો દાવો કર્યો છે. નિવેદન અનુસાર, ખોમૈનીનો મૃતદેહ એર સ્ટ્રાઈકથી બચેલા કાટમાળ નીચેથી મળી આવ્યો છે. દરમિયાન, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સોશિયલ મીડિયા 'ટ્રુથ' પર એક પોસ્ટમાં દાવો કર્યો છે કે ખામૈની માર્યો ગયો છે. ટ્રમ્પે લખ્યું- ઇતિહાસના સૌથી ક્રૂર વ્યક્તિઓમાંથી એક, ખામૈનીનું મૃત્યુ થયું છે. આ પહેલા ઇઝરાયેલી PM બેન્જામિન નેતન્યાહુએ પણ કહ્યું હતું કે ખોમૈની માર્યા ગયા હોવાના સંકેત છે. જોકે તેમણે કોઈ પુરાવા આપ્યા નથી. બીજી તરફ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીનું કહેવું છે કે સુપ્રીમ લીડર જીવિત છે. તેઓ સુરક્ષિત જગ્યાએ છે. ઈરાનની રેડ ક્રેસન્ટ સોસાયટીએ જણાવ્યું છે કે અમેરિકા અને ઇઝરાયેલના હુમલામાં ઓછામાં ઓછા 201 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 747 લોકો ઘાયલ થયા છે. ઇઝરાયેલે અમેરિકા સાથે મળીને ઈરાનના 10 શહેરો પર એરસ્ટ્રાઈક કરી છે. હુમલા બાદ ટ્રમ્પે વીડિયો જાહેર કરીને કહ્યું કે ઈરાન પર આ હુમલો અમેરિકી નાગરિકોની રક્ષા માટે કરવામાં આવ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર… 2. આંધ્રપ્રદેશની ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ: 20 લોકોનાં મોત, 6 લોકોની હાલત ગંભીર; વિસ્ફોટનો અવાજ 5 કિમી દૂર સુધી સંભળાયો આંધ્રપ્રદેશના કાકીનાડા જિલ્લાના વેટ્ટલાપાલેમ ગામમાં શનિવારે ફટાકડા બનાવતી યુનિટમાં વિસ્ફોટ થયો હતો. જેમાં 20 લોકો માર્યા ગયા હતા અને છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. વિસ્ફોટ સમયે યુનિટમાં 20થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે વિસ્ફોટ બપોરે 2 વાગ્યાની આસપાસ થયો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ 5 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. ગ્રામજનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવાનું શરૂ કર્યું હતું. રાજ્યના ગૃહમંત્રી વાંગલાપુડી અનિતાએ આશંકા વ્યક્ત કરી હતી કે મૃત્યુઆંક વધી શકે છે, કારણ કે કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. પશ્ચિમ બંગાળની ફાઈનલ મતદાર યાદીમાં 7.04 કરોડથી વધુ મતદારો:61 લાખ લોકોના નામ કપાયા, અત્યાર સુધીમાં 11 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોની અંતિમ મતદાર યાદી જાહેર પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ની અંતિમ મતદાર યાદી શનિવારે પ્રકાશિત થઈ ગઈ છે. રાજ્યના ચૂંટણી કમિશનર મનોજ કુમાર અગ્રવાલે જણાવ્યું કે રાજ્યમાં હવે કુલ મતદારોની સંખ્યા 7,04,59,284 છે. SIR પહેલા રાજ્યમાં 7.66 કરોડ મતદારો હતા. આ સમગ્ર પ્રક્રિયામાં કુલ 61,78,245 લોકોના નામ કાપવામાં આવ્યા છે. ચૂંટણી રોલ સુધારણા પ્રક્રિયામાં ફોર્મ-7 દ્વારા 5,46,053 લાખથી વધુ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા અને ફોર્મ-6 અને ફોર્મ-6A જમા કરીને 1,82,036 મતદારોને સામેલ કરવામાં આવ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 4. પાકિસ્તાન-અફઘાનિસ્તાન સંઘર્ષમાં 300નાં મોત, 500 ઘાયલ:ટ્રમ્પે કહ્યું- પાકિસ્તાન સારું પ્રદર્શન કરી રહ્યું છે; PAKનો દાવો- ત્યાં થતા આતંકી હુમલાઓ પાછળ ભારતનો હાથ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સૈન્ય સંઘર્ષમાં બંને પક્ષના 300થી વધુ લોકો માર્યા ગયા છે, જ્યારે 500થી વધુ ઘાયલ થયા છે. બંને દેશો એકબીજાને આગળ પણ સૈન્ય કાર્યવાહી કરવાની ધમકી આપી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું કે શું અમેરિકા પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે દખલગીરી કરશે? ત્યારે તેમણે કહ્યું કે હું દખલગીરી કરી શકું છું, પરંતુ મારા પાકિસ્તાન સાથે ખૂબ સારા સંબંધો છે. પાકિસ્તાન આ સમયે ઘણું સારું કરી રહ્યું છે. બીજી તરફ, પાકિસ્તાનના સૈન્ય પ્રવક્તાએ આરોપ લગાવ્યો કે દેશમાં થતા આતંકી હુમલાઓ પાછળ ભારતની ભૂમિકા છે. તેમનું કહેવું છે કે આ ગતિવિધિઓ માટે અફઘાન તાલિબાનના ક્ષેત્રનો ઉપયોગ કરવામાં આવે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સલમાનને કેપ્ટનશીપ પરથી હટાવી શકે છે:T-20 વર્લ્ડકપમાં પ્રદર્શનથી નારાજ, ઘણા સિનિયર્સની આ છેલ્લી ટુર્નામેન્ટ હશે પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાને પાકિસ્તાની ટીમની કેપ્ટનશીપ પરથી હટાવવામાં આવી શકે છે. ન્યૂઝ એજન્સી PTIએ દાવો કર્યો છે કે ઘણા પાકિસ્તાની સિનિયર ખેલાડીઓ માટે આ છેલ્લી ટુર્નામેન્ટ સાબિત થઈ શકે છે. ટી-20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શનને કારણે સલમાનને કેપ્ટનશીપ પરથી હટાવવામાં આવશે. એજન્સીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે ચેરમેન મોહસિન નકવી ટીમના વર્તમાન પ્રદર્શનથી બિલકુલ ખુશ નથી. પાકિસ્તાનની ટીમ 28 ફેબ્રુઆરીએ શ્રીલંકા સામે પોતાની છેલ્લી સુપર-8 મેચ રમવાની છે. જો ટીમ આ મેચ હારશે તો વર્લ્ડકપમાંથી બહાર થઈ જશે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ગુજરાતમાં ઈતિહાસ રચાયો, સાણંદમાં મોદીએ દેશની પહેલી ચિપ લોન્ચ કરી:PMએ કહ્યું- 'ઈન્ડિયા ઈઝ કેપેબલ, ઈન્ડિયા ઈઝ કમ્પીટીટીવ, ઈન્ડિયા ઈઝ કમિટેડ, આ સદી માઈક્રોચિપની' ગુજરાત હવે સેમિકન્ડકટરનું હબ બનવા આગળ વધ્યું છે. સાણંદ સ્થિત માઈક્રોન સેમિકન્ડક્ટરની ATMP(એસેમ્બ્લી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) ફેસેલિટીનું PM મોદીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો અને દેશની પહેલી ચિપ લોન્ચ કરી હતી. PMએ કહ્યું કે, દુનિયાને સંદેશ પહોંચી ચૂક્યો છે, ઈન્ડિયા ઈઝ કેપેબલ, ઈન્ડિયા ઈઝ કોમ્પીટીટીવ, ઈન્ડિયા ઈઝ કમિટેડ. વધુમાં જણાવ્યું હતું કે, માઈક્રોનની આ ફેસેલિટી આજનો આ કાર્યક્રમ ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત સહયોગ અને ભાગીદારીનું પ્રમાણ છે. ખાસ કરીને AI અને ચિપ જેવી ટેક્નોલોજીમાં ભારત અને અમેરિકાની ભાગીદારી બહુ મહત્વપૂર્ણ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ઈરાનના હુમલાથી બહેરીનમાં વસતા ગુજરાતીઓ ફફડ્યાં:‘કલાકમાં 6-7 ધડાકા થયા, આખું બિલ્ડિંગ ધ્રૂજી ગયું’, ગુજરાતના નરેશ માધવીયાએ વર્ણવી ગ્રાઉન્ડ રિયાલિટી આજે 28 ફેબ્રુઆરીને શનિવારે સવારે (ભારતીય સમય મુજબ) ઇઝરાયલે ઇરાનની રાજધાની તેહરાન સહિત અનેક શહેરો પર હુમલો કર્યો. જેના વળતા જવાબમાં, ઇરાને ઇઝરાયલ પર બદલો લેવા માટે કતાર, બહેરીન અને કુવૈત જેવા સાત દેશો પર આશરે 400 મિસાઇલો છોડી હતી. બહેરીનમાં હાલ તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે. બહેરીનની રાજધાની મનામા અને તેની આસપાસના વિસ્તારોમાં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટને કારણે ત્યાં રહેતા ગુજરાતીઓમાં ફફડાટ ફેલાયો છે. સુરતથી માત્ર 15 દિવસ પહેલા જ રોજગારી માટે બહેરીન ગયેલા નરેશ માધવિયાએ 'દિવ્ય ભાસ્કર' સાથેની ખાસ વાતચીતમાં ત્યાંની ગ્રાઉન્ડ રિયાલિટી વર્ણવી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : અજમેરમાં મોદીએ કહ્યું, કોંગ્રેસનાં દુષ્કૃત્યોને દેશ માફ નહીં કરે:તેઓ મુસ્લિમ લીગ માઓવાદી કોંગ્રેસ; સર્વાઇકલ કેન્સર અટકાવવા HPV વેક્સિનેશન અભિયાન શરૂ કર્યું વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ઈરાન પર ઇઝરાયલની એર સ્ટ્રાઈકના 30 PHOTO-VIDEO:ખામેનીના ઘર પર બોમ્બ બ્લાસ્ટ, ઈરાનમાં હુમલા પછી ભયાનક દૃશ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : એર ઈન્ડિયા-ઈન્ડિગોએ મિડલ-ઈસ્ટની તમામ ફ્લાઈટ્સ રદ કરી:સ્પાઈસજેટની અમદાવાદ-દુબઈ ફલાઇટ કેન્સલ, ઈરાન-ઈઝરાયલ યુદ્ધને કારણે કંપનીઓનો નિર્ણય વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : 'ઈરાનને પરમાણુ તાકાત નહીં બનવા દઈએ':હુમલા બાદ ટ્રમ્પનું પહેલું નિવેદન, ઈઝરાયલી PM નેતન્યાહુએ કહ્યું, ખામેનીને સત્તા પરથી હટાવવાના છે વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : આ અઠવાડિયે સોના-ચાંદીમાં વધારો રહ્યો:સોનું ₹4,000 વધીને ₹1.59 લાખ પ્રતિ 10 ગ્રામ થયું, ચાંદી ₹17,000 મોંઘી થઈ વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : IPLનું શેડ્યૂલ ચૂંટણીને કારણે બદલાઈ શકે:26ને બદલે 28 માર્ચે પ્રથમ મેચ શક્ય, બંગાળ-તમિલનાડુ સહિત 5 રાજ્યોમાં ચૂંટણી વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ફાગણ પૂનમથી ઋતુરાજ વસંતનું આગમન:તારકાસુરના વધ માટે કામદેવે શિવજીનું ધ્યાન ભંગ કર્યું, જાણો વસંતોત્સવ સાથે જોડાયેલી માન્યતા વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ લોકોએ કચરાપેટીમાંથી મીઠાઈ લૂંટી ઉત્તર પ્રદેશના હાપુડમાં કચરાપેટીમાંથી હોળીની મીઠાઈ લૂંટવાની લોકોમાં હોડ જામી હતી. હકીકતમાં, ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ વિભાગે ભેળસેળયુક્ત મીઠાઈઓ કચરાપેટીમાં ફેંકી દીધી હતી, ત્યારબાદ ત્યાંથી પસાર થતા લોકો મીઠાઈ લૂંટવા લાગ્યા હતા. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: ટ્રમ્પ બોલ્યા- ઈરાની સેના પોતાના હથિયાર હેઠાં મૂકે, જાણો ઈરાન પર હુમલાનો અસલી હેતુ; શું અમેરિકાનો દાવ ઊલટો પડશે? 2. એક્સક્લૂસિવ : મોદીએ ઇઝરાયલી સંસદમાં જે ગુજરાતી સ્કૂલની વાત કરી તેના કિસ્સા: ઘરના ઓરડામાં શરૂઆત થઇ, દીપડાને જોઇ પ્યૂને પૂછ્યું- તમે મોટી બિલાડી પાળી છે? 3. ભાસ્કર એક્સપ્લેનર : જ્યારે ઈરાને 53 અમેરિકનને બંધક બનાવ્યા: અમેરિકા તડપતું રહ્યું, છોડાવવા ગયેલા 8 કમાન્ડોના મૃતદેહ પાછા ફર્યા; 444 દિવસના સંઘર્ષની કહાણી 4. 110 વર્ષ જૂની મસ્જિદ સેન્ટ્રલ વિસ્ટાના નકશામાંથી ગાયબ: 3 મજાર, એક મસ્જિદ તોડી; કદીમી મસ્જિદને કેવી રીતે બચાવશે વક્ફ બોર્ડ? 5. પારકી પંચાત : હાર્દિક પટેલે કોંગ્રેસ-ભાજપના નેતાઓને પાર્ટી આપી!: પૂર્ણેશ મોદી બિલ્લો લગાવવા 50 સેકન્ડ મથ્યા, ઋષિકેશ પટેલે ખોટો ગુલદસ્તો ઉઠાવી લીધો, જુઓ VIDEO ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ: વિશેષ વ્યક્તિ સાથેની મુલાકાત વૃષભ રાશિનું ભાગ્ય ચમકાવશે, સંતાનોની પ્રગતિ જોઈ વૃશ્ચિક જાતકોનું મન હરખાશે વાંચો સંપૂર્ણ રાશિફળ
કાયદો-વ્યવસ્થાને પડકારતી ઘટના સામે આવી:રાજકોટમાં પોલીસ કર્મચારીના ઘર પર પથ્થરમારો
રાજકોટ શહેરમાં રાજ્યના ડીજીની રવિવારે યોજાનારી ક્રાઇમ કોન્ફરન્સ પૂર્વે જ કાયદો-વ્યવસ્થાને પડકારતી ઘટના સામે આવી છે. મોરબી રોડ પાસેના 80 ફૂટ રોડ પર આવેલા ખોડિયાર પાર્ક શેરી નં.2માં મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો દોડી ગયો હતો અને ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી વિગતો મુજબ ખોડિયાર પાર્કમાં રહેતી વર્ષાબેનએ જણાવ્યું હતું કે, શેરીમાંથી બે શખ્સ નશાની હાલતમાં સ્કૂટર પૂરપાટ ઝડપે હંકારતા જતા હતા. તેમને વાહન ધીમું ચલાવવા સમજાવતા તેઓ ઉશ્કેરાયા હતા અને અન્ય લોકોને બોલાવી લાવ્યા હતા. ત્યારબાદ અંદાજે 15થી 20 શખ્સના ટોળાંએ સોસાયટીમાં ધસી આવી પથ્થરમારો શરૂ કર્યો હતો. આ દરમિયાન ક્રિષ્નાબેન નામની મહિલાને ઇજા પહોંચી હતી. આ બનાવમાં આર્થિક ગુના નિવારણ શાખામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી પરેશભાઇના ઘર પર પણ પથ્થરમારો કરાયો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. ઘટનાને કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. સામાપક્ષે ક્રિષ્ના પાર્ક શેરી નં. 2માં રહેતા વર્ષાબેન શૈલેષભાઇ સીપરિયા (ઉ.વ.38)ને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના જમાઇ પારસ ઉધરેજાએ આક્ષેપ કર્યો હતો કે, તેમના સાળા હિમાંશુ અને તેના મિત્ર પર ખોડિયાર પાર્કમાંથી નીકળતી વખતે ટોળાંએ હુમલો કર્યો હતો. જાણ થતા વર્ષાબેન અને તેમના પતિ શૈલેષભાઇ સમજાવવા ગયા ત્યારે લાકડીથી હુમલો કરાયો હતો. સ્વબચાવમાં પથ્થરમારો કર્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.ઘટનાની જાણ થતાં પોલીસની બેથી ત્રણ ગાડીઓ સ્થળ પર પહોંચી હતી અને શૈલેષભાઇ, વિપુલભાઇ સહિત અમુક લોકોને બી-ડિવિઝન પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા. રાજ્યના ડીજી ક્રાઇમ કોન્ફરન્સ માટે રાજકોટમાં છે. ત્યારે જ શહેરમાં બે જૂથ વચ્ચે ખુલ્લેઆમ અથડામણ સર્જાતા કાયદો-વ્યવસ્થા અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે.
દર વર્ષે દ્વારકા ઠાકરના (ભગવાન શ્રીકૃષ્ણ)ના ફૂલડોલ મહોત્સવમાં રાજકોટથી ચાલીને દ્વારકા જતાં વીહાભાઇ કીહલાના સંઘની 1000 બહેનોએ સૌપ્રથમ વખત ખંભાળિયા નજીક આવેલા ‘આરાધના ધામમાં’ એક નોખું અને અનોખું આયોજન કર્યું હતું. જેમાં નાનાભાઇ ભરવાડ સમાજના બહેનોએ પરંપરાગત વસ્ત્રો ધારણ કરી ભગવાન શ્રીકૃષ્ણનું સુદર્શન ચક્ર બનાવી ગોપીરાસની રમઝટ બોલાવી હતી. રવિવારે સવારે ફરી ઠાકરના દ્વારે એટલે કે દ્વારકા જવા રવાના થશે. રાત સુધીમાં ભગવાન શ્રીકૃષ્ણની નગરીમાં પહોંચી જશે. જ્યાં હોળી-ધૂળેટી ધામધૂમથી ઉજવવામાં આવશે. માત્ર 7 દિવસમાં જ રાજકોટથી ઠાકોરના દ્વાર સુધીની યાત્રાભરવાડ સમાજ ભગવાન શ્રીકૃષ્ણને ઠાકરના નામથી સંબોધન કરે છે. ગત સોમવારે નાનાભાઇ ભરવાડ સમાજનો સંઘ રવાના થયો હતો. જે આજે દ્વારકા પહોંચી જશે. મોટાભાગના મહિલા યાત્રિકો પાસે એક ખાસ પ્રકારની ધ્વજા હોય છે. ભજન, કિર્તન અને ઠાકરની ધૂન સતત બોલાવવામાં આવે છે.

30 C