અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં ગાયો પકડવા મુદ્દે ભરવાડ વાસમાં રહેતા શખસો દ્વારા CNCD વિભાગમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા કર્મચારીઓ પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. રખડતા ઢોરને પકડવામાં આવી રહ્યા છે, ત્યારે ઢોર માલિકો કાયદો હાથમાં લઈને મારામારી પર ઉતરી આવ્યા હતા. જોકે, મારામારી કરવા આવ્યા હતા અને માર માર્યા બાદ ભાગતા હોવાની સમગ્ર ઘટના નજીકના એક ફ્લેટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ચાર શખસો વિરૂદ્ધ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં કોન્ટ્રાક્ટર કર્મચારીએ ફરિયાદ નોંધાવી છે. ઢોર માલિકોના સરકારી કર્મચારીઓ પર હુમલારાજ્યમાં રખડતા ઢોરને કારણે અકસ્માતો અને લોકોના જીવને જોખમ હોવાથી રખડતા ઢોર નિયંત્રણ પોલિસી લાગુ કરવામાં આવી છે. જે અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ કેટલાક ઢોર માલિકો ઢોર પકડવાની કામગીરીને લઈ સરકારી કર્મચારીઓ પર હુમલા કરતા હોય છે. રજનીકાંતભાઈ 10 માર્ચે ગાયો પકડવા પેટ્રોલિંગમાં નીકળ્યા હતાશહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા મધુવન ગ્લોરી ફ્લેટમાં રહેતા રજનીકાંત વાઘેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિબાગમાં કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે ઉત્તર ઝોનમાં નોકરી કરે છે. તેમની શિફ્ટમાં પોલીસ કર્મચારીઓને સાથે લઇને રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવતી હોય છે. રજનીકાંતભાઈ 10 માર્ચના રોજ બપોરે નોકરી પર ગયા હતા અને CNCD વિભાગના પોલીસકર્મીઓ સાથે ઢોર પાર્ટી લઈને સૈજપુર ટાવર SRP ગ્રાઉન્ડ થઈ કેનાલથી આલગ અલગ જગ્યા ઉપર ગાયો પકડવા પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. ભરવાડવાસના શખસો ગાયોને ભગાડીને જતા રહ્યા હતારજનીકાંતભાઈ ફરતા ફરતા સાંજે નરોડા વિસ્તારમાં મોટા ઠાકોરવાસ પાસે કુમારશાળા નજીક આવેલા ભરવાડવાસ નજીક પહોંચ્યા હતા. જ્યાં ત્રણ ગાયો ઉભી હતી. જેથી ઢોર પાર્ટીના માણસો દ્વારા ગાયોને કોર્ડન કરી તેને ટ્રેક્ટરમાં ચડાવતા હતા, ત્યારે ભરવાડવાસમાંથી કેટલાક શખસો આવ્યા હતા અને ગાયોને ભગાડીને જતા રહ્યા હતા. જેથી ગાય પકડી શક્યા નહોતા. ગાયો ભાગી જતા ત્યાંથી તેઓ ફરી ફરતા ફરતા ભરવાડ વાસ પાસે આવ્યા, ત્યારે ત્રણ ગયો મળી આવી હતી જેને પકડીને નીકળ્યા હતા. અમારી ગયો પકડવા આવે છે કહી ઝઘડો કરવા લાગ્યોબાદમાં તેઓ રાત્રે ચાર્જ સોંપીને નોકરી પૂરી કરી એક્ટિવા લઈને ઘરે પહોંચ્યા હતા. મધુવન ગ્લોરી ખાતે તેમના ફ્લેટમાં તેઓ પહોંચ્યા ત્યારે ભરવાડવાસમાં રહેતા મિહિર ભરવાડ, જયેશ ભરવાડ, પપ્પુ ભરવાડ અને અજાણ્યો શખસ ગેટ પાસે આવ્યા હતા અને મિહિર ભરવાડે તું અમારી ગયો પકડવા મ્યુનિસિપાલિટીના સાહેબોને લઈને અમારા ઘર પાસે આવે છે એમ કહીને ઝઘડો કરવા લાગ્યો હતો. જેથી તેમણે બોલાચાલી કરવાની ના પાડતા તેમના બરડાના ભાગે માર મારવા લાગ્યા હતા. ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપીઆ ઉપરાંત જમણાં હાથ પર પણ માર માર્યો હતો. ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. જેના કારણે આસપાસના અને ફ્લેટના લોકો ભેગા થઈ ગયા હતા. ચારેય લોકોએ ધમકી આપી હતી કે, હવે મ્યુનિસિપલના માણસો લઈ ભરવાડવાસમાં ગાયો પકડવા આવીશ તો જાનથી મારી નાખીશ. માર માર્યો હોવાને લઈને તેમણે ઇજાઓ થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે CNCD વિભાગના અધિકારીને પણ જાણ કરી હતી. કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અમદાવાદ ટ્રાફિક પોલીસનું સોશિયલ મીડિયા X એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું જેને X દ્વારા હાલ પૂરતું સસ્પેન્ડ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. સોશિયલ મીડિયા X દ્વારા એકાઉન્ટનો ઉપયોગ કરવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જે નિયમોનો ભંગ કરવામાં આવતા @PoliceAhmedabad નામથી X પર ટ્રાફિક પોલીસનો એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે જેથી લોકો તેના ઉપર પોસ્ટ કરી શકતા નથી. ટ્રાફિક પોલીસનું સોશિયલ મીડિયા X એકાઉન્ટ સસ્પેન્ડઅમદાવાદીઓ સૌથી વધુ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. દિન પ્રતિદિન વધતા જતા વાહનોની સાથે ટ્રાફિકની સમસ્યા પણ વધી રહી છે, ત્યારે નાગરિકો ટ્રાફિકને લગતી અપડેટ અને ટ્રાફિક વિશે માહિતી પોલીસ સુધી પહોંચાડી શકે તેના માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા સોશિયલ મીડિયા X એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. જેમાં દિન પ્રતિદિન ટ્રાફિક પોલીસને લગતી અપડેટ મૂકવામાં આવતી હતી. કોઈપણ વ્યક્તિ ટ્રાફિકને લગતી ફરિયાદ કરે તો ટ્રાફિક પોલીસ તરફથી પોસ્ટ પણ કરવામાં આવતી હતી. જોકે સોશિયલ મીડિયા X પર @PoliceAhmedabad નામથી બનાવવામાં આવેલા એકાઉન્ટને હાલ પૂરતું સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. એક પોસ્ટ મોટા પ્રમાણમાં રીપોસ્ટ અને કોમેન્ટથી એકાઉન્ટ બંધપોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વર્લ્ડ કપ T20 ફાઇનલ મેચની એક પોસ્ટ કરવામાં આવેલી હતી. જે પોસ્ટમાં ખૂબ મોટા પ્રમાણમાં રીપોસ્ટ અને કોમેન્ટ આવેલી હતી જેના પગલે સોશિયલ Xના ધ્યાન પર આ બાબત આવી હતી અને કોઈ નીતિ નિયમનો ભંગ થયો હોવાને લઈને ટેમ્પરરી એકાઉન્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ X એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવતા તાત્કાલિક ધોરણે ટ્રાફિક પોલીસના અધિકારીઓ દ્વારા આ બાબતે ધ્યાન લઈને X કંપનીને ઇમેલ કરીને જાણ કરી છે. જેથી ગુરૂવાર સાંજ સુધીમાં ફરીથી એકાઉન્ટ ચાલુ થાય તેવી શક્યતા જણાય છે. દિલ્હી પોલીસની પોસ્ટથી એકાઉન્ટને કોમ્પ્રોમાઇઝ કરી દેવાયુંપોલીસ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, વર્લ્ડ કપ ટી20 ફાઇનલ મેચના દિવસે દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલા પોસ્ટ બાબતે X એકાઉન્ટને કોમ્પ્રોમાઇઝ કરી દેવામાં આવ્યું હોવાનું લાગ્યું હોવાથી તાત્કાલિક ધોરણે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓને આ બાબતે સંપર્ક કરતા તેઓનો સંપર્ક થઈ શક્યો નહોતો.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ની કોમર્સ ફેકલ્ટીમાં ‘અર્થરંગ 2026’ ફેસ્ટના બીજા દિવસે વિવિધ સાંસ્કૃતિક અને સર્જનાત્મક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેના કારણે કેમ્પસમાં આનંદનો માહોલ છવાયો હતો. આ દિવસે ઝુંબા ડાન્સ, ટ્રેઝર હન્ટ, ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ (સોલો), ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક વોકલ સોલો/ડ્યુએટ, શોર્ટ ફિલ્મ મેકિંગ, રીલ્સ મેકિંગ, ફોટોગ્રાફી અને કલ્ચરલ ડાન્સ (સોલો/ગ્રુપ) જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી.દિવસની શરૂઆત ઝુંબા ડાન્સથી થઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ સક્રિયપણે ભાગ લઈ સમગ્ર કેમ્પસને ઉર્જાથી ભરી દીધું હતું. ટ્રેઝર હન્ટ સ્પર્ધામાં ટીમોએ વિવિધ ક્લૂઝ શોધી પોતાની બુદ્ધિશક્તિ અને ટીમવર્કનું પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધામાં ત્રણ ટીમો વિજેતા બની હતી, જેને અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મળ્યું હતું.ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ અને ક્લાસિકલ મ્યુઝિક સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિની ઝલક રજૂ કરી હતી. જ્યારે શોર્ટ ફિલ્મ મેકિંગ, રીલ્સ મેકિંગ અને ફોટોગ્રાફી જેવી સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા અને ટેકનિકલ કુશળતા દર્શાવી હતી.દિવસના અંતે યોજાયેલી કલ્ચરલ ડાન્સ (સોલો અને ગ્રુપ) સ્પર્ધાએ વાતાવરણને વધુ રંગીન અને ઉત્સાહભર્યું બનાવ્યું હતું. વિવિધ પ્રકારના ડાન્સ પરફોર્મન્સે દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે પાંચ વર્ષ પછી આવા ફેસ્ટનું આયોજન થવાથી તેઓ ખુશ છે અને તેમને પોતાની પ્રતિભા રજૂ કરવાની અનોખી તક મળી છે.
કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઈવે પરથી કુલ રૂ. 20,383 કરોડનો ટોલ વસૂલવામાં આવ્યો છે. આ જ સમયગાળા દરમિયાન, રાજ્યના નેશનલ હાઈવેના વિકાસ અને જાળવણી માટે કેન્દ્ર સરકારે રૂ. 47,236 કરોડની ફાળવણી પણ કરી છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ 11 માર્ચ, 2026ના રોજ આ માહિતી આપી હતી. મુખ્ય હાઈવે પ્રોજેક્ટ્સની સ્થિતિ અને સમયમર્યાદાવિવિધ હાઈવે પ્રોજેક્ટ્સના કામ અને તેની પૂર્ણ થવાની સંભવિત સમયમર્યાદા વિશે પણ વિગતો રજૂ કરી હતી: NH-48 (વાપી-સુરત-ભરૂચ): આ સ્ટ્રેચ પર 16 પુલ અને ફ્લાયઓવરનું કામ પ્રગતિ હેઠળ છે, જે જાન્યુઆરી 2027 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. ભરૂચ-વડોદરા સેક્શન: અહીં 7 પુલ અને ફ્લાયઓવરનું કામ ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. શામળાજી-મોટા ચિલોડા: સિક્સ-લેનિંગનું બાકી રહેલું કામ જૂન 2026 સુધીમાં પૂર્ણ થશે. રાજકોટ-જેતપુર (NH-27): આ સેક્શનનું સિક્સ-લેનિંગ કાર્ય જાન્યુઆરી 2027 સુધીમાં પૂરું કરવાનું લક્ષ્ય રખાયું છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે: આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માર્ચ-2028 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. જાળવણી અને સમારકામ પરિમલ નથવાણીએ ભરૂચ-સુરત અને અમદાવાદ-હિંમતનગર જેવા મુખ્ય માર્ગો પરના ખાડાઓ અને તૂટેલી સપાટી અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેના જવાબમાં જણાવાયું હતું કે NH-48ના મોટાભાગના સ્ટ્રેચ હાલ પર્ફોર્મન્સ બેઝ્ડ રોડ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ (PBMC) હેઠળ જાળવણી હેઠળ છે. નોંધનીય છે કે રાજકોટ-અમદાવાદ પ્રોજેક્ટ હાલ ગુજરાત સરકારના અધિકારક્ષેત્રમાં છે અને રાજ્યના બજેટમાંથી તેનું કામ કરવામાં આવી રહ્યું છે. પાંચ વર્ષનો ટોલ વસૂલાતનો ચાર્ટ (રૂ. કરોડમાં): સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ દર વર્ષે ટોલ કલેક્શનમાં વધારો જોવા મળ્યો છે:
સુરત મહાનગરપાલિકાએ શહેરના વિકાસ અને નાગરિકોની સુવિધા માટે એકસાથે ત્રણ મોટા નિર્ણયો લીધા છે. એકતરફ બેરોજગાર યુવાનો માટે પાલિકામાં નોકરીના દ્વાર ખુલ્યા છે તો બીજી તરફ પરિવહન સેવાને વધુ હાઈટેક અને પારદર્શક બનાવવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. 1લી એપ્રિલથી વડીલો માટે મફત મુસાફરી અને ડુમસના દરિયાકિનારે પ્રવાસીઓ માટે ડબલ ડેકર બસના આકર્ષણ સાથે સુરતની રોનક બદલાશે. 45 કેડરની 2700થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયાનો પ્રારંભસુરત મહાનગરપાલિકામાં નોકરીની રાહ જોતા બેરોજગાર યુવાનો માટે વર્ષ 2026ની સૌથી મોટી ભેટ આવી છે. મેહકમ વિભાગ દ્વારા વિવિધ 45 કેડરની 2700થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં ક્લાર્કની 717, ડ્રાઈવરની 444 અને માર્શલની 323 જેવી મહત્વની પોસ્ટનો સમાવેશ થાય છે. આ ભરતીમાં માત્ર સીધી ભરતી જ નહીં પણ વર્ષોથી ફરજ બજાવતા કર્મચારીઓ માટે બઢતીની લોટરી પણ લાગી છે. સેક્શન ઓફિસર અને આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ જેવી જગ્યાઓ ખાતાકીય પરીક્ષા દ્વારા ભરાશે. લાયકાત ધરાવતા ઉમેદવારો માર્ચ, 2026 દરમિયાન પાલિકાની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકશે, જેમાં સરકારના નિયમ મુજબ અનામતનો લાભ પણ મળશે. ટિકિટ ચોરી રોકવા 'બેંચ માર્કિંગ' અને વડીલોને ફ્રી મુસાફરીની ભેટસુરત સીટીલિંક લિમિટેડ દ્વારા પરિવહન સેવામાં થતી આવકનું ગાબડું રોકવા માટે આક્રમક 'બેંચ માર્કિંગ એક્ટિવિટી' શરૂ કરાઈ છે. હવે શહેરના દરેક રૂટની બસમાં સવારથી રાત સુધી વિજીલન્સ અને માર્શલની ટીમો દ્વારા 100% ટિકિટ ચેકિંગ કરવામાં આવશે, જેથી ભાડાની ચોરી અટકાવી શકાય. બીજી તરફ, વડીલો માટે આનંદના સમાચાર એ છે કે 1લી એપ્રિલ 2026 થી તમામ સિનિયર સિટીઝનો સીટી બસ અને BRTSમાં તદ્દન મફત મુસાફરી કરી શકશે. આ સુવિધા માટે શહેરમાં નવા 9 ડિસ્કાઉન્ટ સેન્ટરો શરૂ કરાયા છે અને અત્યાર સુધીમાં 62 હજારથી વધુ વડીલોએ પોતાના પાસ ઇસ્યુ કરાવી લીધા છે. ડુમસ સી-ફેઝ પર લંડન જેવો અહેસાસસુરતીઓના માનીતા પિકનિક ડેસ્ટિનેશન ડુમસ સી-ફેઝના લોકાર્પણ બાદ હવે પ્રવાસીઓ માટે પાલિકાએ ખાસ આકર્ષણ ઉમેર્યું છે. સ્થાયી સમિતિએ બે નવી ઇલેક્ટ્રિક એસી ડબલ ડેકર બસ ખરીદવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. ચેન્નાઈની કંપની પાસેથી ખરીદવામાં આવનારી આ હાઈટેક બસો અઠવાથી ડુમસ સી-ફેઝ વચ્ચે દોડશે. મુલાકાતીઓ બસના ઉપરના માળે બેસીને દરિયાકિનારાના સુંદર નજારા સાથે ઠંડી હવામાં સવારીનો આનંદ માણી શકશે. આમ, સુરત પાલિકા એકતરફ રોજગારી આપી રહી છે તો બીજી તરફ પરિવહન સેવાને અત્યાધુનિક બનાવીને શહેરીજનોની સુવિધામાં વધારો કરી રહી છે.
MSUમાં અર્થરંગ 2026નો ત્રીજો દિવસ:બુદ્ધિપ્રધાન અને સાહિત્યિક સ્પર્ધાઓનું આયોજન કરાયું
વડોદરા, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ની કોમર્સ ફેકલ્ટીમાં ચાલી રહેલા 'અર્થરંગ 2026' ફેસ્ટના ત્રીજા દિવસે વિવિધ બુદ્ધિપ્રધાન અને સાહિત્યિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફેકલ્ટી કેમ્પસમાં ઉત્સાહપૂર્ણ અને સર્જનાત્મક વાતાવરણ જોવા મળ્યું. આ દિવસે ડિબેટ સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા, કાવ્ય પાઠન (Poetry Recitation), એક્સટેમ્પોર એલોક્યુશન, કેરેક્ટર ડે, બેન્ડ પ્રદર્શન, લાઇટ વોકલ સોલો/ડ્યુએટ (સિંગિંગ) અને અંતાક્ષરી જેવી પ્રવૃત્તિઓ યોજાઈ હતી. ડિબેટ અને એક્સટેમ્પોર એલોક્યુશન જેવી સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ સામાજિક અને આર્થિક મુદ્દાઓ પર તર્કસભર ચર્ચા કરી, પોતાના વિચારો આત્મવિશ્વાસ સાથે રજૂ કર્યા. નિબંધ લેખન અને કાવ્ય પાઠન દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની સાહિત્યિક પ્રતિભા અને કલ્પનાશક્તિનું પ્રદર્શન કર્યું. કેરેક્ટર ડે દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ પાત્રોના વેશભૂષા ધારણ કરીને અનોખી સર્જનાત્મકતા દર્શાવી, જે કેમ્પસમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું. સંગીતપ્રેમી વિદ્યાર્થીઓએ લાઇટ વોકલ સિંગિંગ અને બેન્ડ પ્રદર્શન દ્વારા માહોલને સંગીતમય બનાવ્યો. અંતાક્ષરી સ્પર્ધામાં પણ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે આવા કાર્યક્રમો તેમને માત્ર મનોરંજન જ નહીં, પરંતુ આત્મવિશ્વાસ, વ્યક્તિત્વ વિકાસ અને પોતાની પ્રતિભા રજૂ કરવાની ઉત્તમ તક પૂરી પાડે છે. દિવસભર વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને દર્શકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયેલો રહ્યો.આમ, 'અર્થરંગ 2026' નો ત્રીજો દિવસ વિવિધ પ્રતિભાઓ અને સર્જનાત્મક અભિવ્યક્તિથી ભરપૂર રહ્યો.
રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર આવેલા ફાયર સ્ટેશનમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. જેમાં એક અજ્ઞાત યુવકે અચાનક આવીને પથ્થરમારો શરૂ કરતા અફરાતફરી મચી ગઈ હતી. પ્રારંભિક તપાસમાં આ યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાનું સામે આવ્યું છે. યુવકે ઉશ્કેરાઈને ફાયર બ્રિગેડના જવાનના કપડાં પણ ફાડી નાખ્યાયુવકે માત્ર ફાયર સ્ટેશન પર પથ્થરો જ નહોતા ફેંક્યા પરંતુ, ત્યાં હાજર ફાયર બ્રિગેડના જવાનો સાથે પણ ઝપાઝપી કરી હતી. બબાલ દરમિયાન યુવકે ઉશ્કેરાઈને પોતાના કપડાં તો ફાડી જ નાખ્યા હતા, પરંતુ સાથે સાથે ફરજ પરના ફાયર બ્રિગેડના જવાનના કપડાં પણ ફાડી નાખ્યા હતા. જેને લઈને તેને પ્રથમ રૂમમાં પુરી દેવામાં આવ્યો હતો. અને બાદમાં 112 નંબર પર ફોન કરીને પોલીસને સોંપાયો હતો. સરકારી વાહનો અને બિલ્ડિંગ પર પથ્થરમારો કરવાનું શરૂ કર્યું હતુંઆ ઘટનાની વિગતો મુજબ કોઠારીયા રોડ ફાયર સ્ટેશનના કર્મચારીઓ જ્યારે પોતાની નિયમિત ફરજ પર હતા ત્યારે આ યુવક ત્યાં ધસી આવ્યો હતો. તેણે સ્ટેશનમાં પાર્ક કરેલા સરકારી વાહનો અને બિલ્ડિંગ પર પથ્થરમારો કરવાનું શરૂ કર્યું હતું. ફાયર બ્રિગેડના જવાનોએ તેને રોકવાનો પ્રયાસ કરતા તે વધુ હિંસક બન્યો હતો અને ગાળાગાળી કરવા લાગ્યો હતો. સ્થિતિ વધુ વણસતા જવાનોએ તાત્કાલિક તે યુવકને પકડી લીધો હતો અને વધુ નુકસાન ન થાય તે હેતુથી તેને એક રૂમમાં પૂરી દીધો હતો. આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં યુવકની હરકતો સ્પષ્ટપણે જોઈ શકાય છે. અમે બધા સ્ટેશનની બહાર બેઠા હતાઆ અંગે ફાયર બ્રિગેડના કર્મચારી પ્રતાપ ડાંગરે જણાવ્યું હતું કે, અમે બધા સ્ટેશનની બહાર બેઠા હતા ત્યારે એક યુવક તેની માતા અને નાના બાળક સાથે આવ્યો હતો. તેણે અચાનક જ સરકારી પ્રોપર્ટી પર પથ્થરો ફેંકવાનું શરૂ કરી દીધું હતું. અમે તેને વારંવાર રોકવાની કોશિશ કરી પણ તે માન્યો નહીં. તેણે ઉશ્કેરાટમાં આવીને અમારા કપડાં પણ ફાડી નાખ્યા હતા. આખરે અમારે તેને પકડીને રૂમમાં પૂરવાની ફરજ પડી હતી અને ત્યારબાદ 112 પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસે યુવકની અટકાયત કરી પરિવારજનોની પૂછપરછ હાથ ધરીફાયર સ્ટેશનના અધિકારીઓ દ્વારા આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ પકડી રાખેલા આ યુવકને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસે યુવકની અટકાયત કરી પરિવારજનોની પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ યુવક માનસિક રોગથી પીડાતો હોવાનું જણાતા તેને સારવાર અર્થે ખસેડવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી શકે છે. સરકારી મિલકતને નુકસાન અને કર્મચારીઓની ફરજમાં રુકાવટના કિસ્સો આખા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
શહેરમાં વધતા જતા હવા પ્રદુષણને અટકાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુડ કન્સ્ટ્રક્શન પોલિસી અમલીકરણ લાવવામાં આવી છે જે અંતર્ગત વિવિધ પ્રકારની કન્સ્ટ્રક્શન સાઈટો ઉપર ગ્રીન નેટ, બેરીકેટિંગ અને મિસ્ટ મશીન નો ઉપયોગ ન કરીને એસઓપીનો ભંગ કરતા પશ્ચિમ વિસ્તારની કુલ 21 જેટલી કન્સ્ટ્રક્શન સાઈટોને સીલ કરવામાં આવી છે. શહેરના ગોતા, એસજી હાઇવે અને વૈષ્ણોદેવી રિંગ રોડ નજીકની તેમજ થલતેજ વિસ્તારની સાઈટોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. 21 કન્સ્ટ્રક્શન સાઈટો સીલઉત્તર-પશ્ચિમ ઝોનના અલગ-અલગ વોર્ડમાં સમાવિષ્ટ વિસ્તારમાં ચાલતી ઓન ગોઇંગ સાઈટમાં ગુડ કન્સ્ટ્રક્શન પોલિસી મુજબ SOP તથા રજાચિઠ્ઠીમાં જણાવેલ શરતોનું સ્થળે પાલન થતું ન હોય તે બાબતે સ્થળ તપાસ કરતાં ગોતા વોર્ડમાં સમત્વ મેગ્નોલિયા, આર્કેડિયા-11, આર્કેડિયા-17, સાંકેત, ધ સેવન, આત્મ્ય ગેંડયોર અને ચાંદલોડીયા વોર્ડમાં આદિતી સેફાયર, શ્લોક એમાલ્ટ્સ, માલાબાર રિટરેટ, રત્નમ ઓપલ, સોલો લેકવ્યું, આઇડિય ઇરોરિયા, આરિસ્ટો આનત્તમ, એકવા વિષ્ટા, સિધાર્થ વૃંદાવન-1, મિલેનિયમ એટ્રિક્સ, સેવન્થ ઓરચીડ, રાજશ્રી રિગાલિયા, સમંતવ્ય તથા થલતેજ વોર્ડમાં સ્ટેટ્સ અલ્ટિઝા, આર્ટિફો નામની ઓન ગોઇંગ કન્સ્ટ્રકશન સાઈટમાં જરૂરી SOP (જેવી કે મુખ્યત્વે બેરીકેટિંગ, ગ્રીન નેટ, મિસ્ટ મશીન વગેરે) અપૂર્તતા જણાઈ આવતા અંત્રેના વિભાગેથી સ્થળે ચાલતી બાંધકામની સાઈટને સીલ કરવામાં આવી છે.
અમદાવાદના 145 જેટલાં નાનામોટા તળાવોને ઇન્ટરલીંક કરીને તેમજ મીની એસટીપી મુકીને બારેમાસ પાણીથી ભરવાનાં આયોજનનાં ભાગરૂપે તળાવોમાં ભરાયેલાં પાણીની ગુણવત્તા સુધારવા તેમજ લીલ-જળકુંભી જેવી બિનજરૂરી વનસ્પતિ ઉત્પન્ન થાય નહિ તે માટે નેનો બબલ ટેકનોલોજી સહિત ત્રણેક પ્રકારની ટેકનોલોજીનાં ઉપયોગનાં પાયલોટ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. શહેરમાં પાંચ જેટલા તળાવોમાં પાયલોટ પ્રોજેક્ટનો અમલ કરવામાં આવશે. અત્યાર સુધીમાં શહેરના 41 તળાવોને નાગરિકોને હરવાફરવાનાં સ્થળ તરીકે ડેવલપ કરી દેવાયાં છે. અન્ય 17 તળાવને ડેવલપ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જ્યારે 19 તળાવનાં ડેવલપમેન્ટનું આયોજન હાથ ધરાયુ છે. તળાવોમાં બારેમાસ પાણીથી રહે તે માટે મીની એસટીપી પ્રોજેક્ટનો અમલમળતી માહિતી મુજબ ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો સંગ્રહ થાય તે માટે સ્ટોર્મ વોટર લાઇન નાખવામાં આવેલી છે, પરંતુ મોટાભાગનાં તળાવોમાં વરસાદી પાણી બારેમાસ જળવાઇ રહેતુ નથી અને ચોમાસુ પૂરૂ થયાનાં એકાદ મહિનામાં તળાવો ખાલી જાય છે. જેથી તળાવો બારેમાસ પાણીથી ભરેલાં રહે તો પર્યાવરણને ફાયદો થાય તેમજ આસપાસનાં વિસ્તારનાં ભૂગર્ભ જળસ્તર ઉંચા આવે તેવા હેતુથી મીની એસટીપી લગાવવાનાં પ્રોજેક્ટ અમલમાં મુકાયા છે. ગટરનાં પાણી ટ્રીટ કરી તળાવમાં ઠાલવવામાં આવશેચોમાસા દરમિયાન તળાવો ઓવરફ્લો થાય તેવા સંજોગોમાં બીજા તળાવોમાં તેનુ પાણી વહી જાય તેવી ઇન્ટરલીંક લાઇનો પણ નાખવામાં આવી છે. જેનો ઉપયોગ મીની એસટીપીવાળા તળાવમાંથી વધારાનુ પાણી નજીકનાં તળાવમાં મોકલવા માટે પણ કરાશે. તળાવ કિનારે મીની એસટીપી લગાવીને રહેણાંક વિસ્તારનાં ગટરનાં પાણી ટ્રીટ કરી તળાવમાં ઠાલવવામાં આવશે, આ પાણીની ગુણવત્તા ગટરનાં સીધા ઠલવાતા ગંદા પાણી કરતાં ઘણી સારી હશે, તેમ છતાં તળાવોમાં ગટરનાં ટ્રીટ થયેલાં પાણીને વધુ ગુણવત્તાયુક્ત બનાવવા માટે એનઆરસીપી અંતર્ગત નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનુ નક્કી કરવામાં આવ્યુ છે. ત્રણ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરાશેઆ પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ તબક્કે દ.પશ્ચિમ ઝોનનાં બે તળાવ, પશ્ચિમ ઝોનનાં બે તળાવ અને પૂર્વનાં એક તળાવનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પાંચ તળાવ ખાતે ટ્રીટ થયેલાં પાણીમાં ડિઝોલ્વ્ડ ઓક્સિજન(ડીઓ)નાં પ્રમાણમાં વધારો થાય અને બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ(બીઓડી) તથા કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ(સીઓડી)નુ પ્રમાણ ઘટે તે માટે નેનો બબલ જનરેટર, સરફેસ એરેટર, ડીપ એરેટર તેમજ અલ્ટ્રાસાઉન્ડ જનરેટર એમ ત્રણ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. જેનાથી તળાવનાં પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ વધશે અને માછલી, કાચબા સહિતના જળચર જીવતા રહી શકશે તેમજ લીલ અને જળકુંભી જેવી બિનજરૂરી વનસ્પતિ ઉપર અંકુશ આવશે. કયા પાંચ તળાવમાં પાયલોટ પ્રોજેક્ટ
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી. દીકરીને 6 મહિનાનો ગર્ભ હોવાની જાણ થતા માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ મામલે મકરપુરા પોલીસે અ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં મકરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં જ આ સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. સગીરા ટ્રસ્ટમાં કામ માટે ગઈ ત્યારે આરોપીએ પીંખી નાખીસગીરા સાથે દુષ્કર્મ આચરનાર બંને આરોપીઓને મકરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા છે. આ સગીરા જ્યોતિ ફાઉન્ડેશન ટ્રસ્ટમાં નોકરી કરતી હતી અને તે પંકજભાઈ રમેશભાઈ પરમાર (ઉ.વ.37 રહે. મ.નં 60, શ્રીજી વસાહત, દશામાતાના મંદિર પાસે, માણેજા, વડોદરા શહેર, મુળ રહે- શીનોર ગામ, તા.ડભોઈ, જી.વડોદરા) ચલાવતો હતો. આ સગીરા ટ્રસ્ટમાં કામ માટે ગઈ ત્યારે આ આરોપીએ પીંખી નાખી હતી. ગર્ભ કોનો છે તે મેડિકલ રિપોર્ટ અને FSL બાદ જ જાણી શકશેજ્યારે અન્ય આરોપી જતીન ઉર્ફે આદેશ ઇશ્વરભાઈ ગોહીલ (ઉ.વ. 20, રહે.- બ્લોક નં 26, રુમ નં 306, વી.એમ.સી. કવાટર્સ, ટીપી-13, છાણી જકાતનાકા પાસે, વડોદરા શહેર) પણ આ સગીરાના સંપર્કમાં સોશિયલ મીડિયા દ્વારા આવ્યો હતો. તેણે પણ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું ત્યારે આ સગીરાને હાલમાં છ માસનો ગર્ભ છે. આ ગર્ભ કોનો છે તે તો મેડિકલ રિપોર્ટ અને FSL બાદ જ જાણી શકશે. હાલમાં મકરપુરા પોલીસે બંને આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પિતાની તબિયત ખરાબ રહેવાના કારણે દીકરીએ વાત છુપાવીપીડિતાની માતાએ જણાવ્યું કે, પતિની તબિયત ખરાબ રહેતી હોવાથી દીકરીએ ડરના માર્યા ઘરે કંઈ જણાવ્યું નહોતું. તે વારંવાર પૂછતી અને દવાખાને લઈ જવાનું કહેતી, પરંતુ દીકરી ના પાડતી હતી. પરિવારે પહેલા ખાનગી હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં ખર્ચ વધુ હોવાથી છેવટે સરકારી હોસ્પિટલમાં ગયા. ત્યાં ડોક્ટરે પોલીસને જાણ કરવાનું કહેતા પરિવાર ગભરાઈને પાછો ફર્યો. પછી પતિના એક મિત્રને વાત કરતા તેમણે હિંમત આપી કે કોઈ ભૂલ નથી તો પોલીસથી ડરવાની જરૂર નથી. આથી પરિવારે મકરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી. આરોપીએ કંઈક ચોકલેટ જેવું ખવડાવીને સગીરા સાથે જબરદસ્તી કરી હતીમાતાના જણાવ્યા અનુસાર આરોપીએ કંઈક ચોકલેટ જેવું ખવડાવીને સગીરા સાથે જબરદસ્તી કરી હતી. આ કેસમાં બે આરોપીઓ – પંકજભાઈ રમેશભાઈ પરમાર (ઉંમર 37, માણેજા વિસ્તાર) જે જ્યોતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ ચલાવે છે અને જતીન ઉર્ફે આદેશ ઇશ્વરભાઈ ગોહીલ (ઉંમર 20, છાણી વિસ્તાર) ને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. પંકજ પરમારે ટ્રસ્ટમાં કામ કરવા આવેલી સગીરાને ફસાવી હતી, જ્યારે જતીન ગોહીલ સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવ્યો હતો અને તેણે પણ દુષ્કર્મ આચર્યું હતું. હાલ પીડિતા સગીરા સરકારી હોસ્પિટલમાં દાખલ છે અને તેની તબિયત સારી છે. ગર્ભ કોનો છે તે મેડિકલ રિપોર્ટ અને FSL તપાસ બાદ જાણી શકાશે. મકરપુરા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને POCSO અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી રહી છે.
હાઇકોર્ટ દ્વારા પરસ્પર સંમતિથી છૂટાછેડાના એક મામલે અમેરિકામાં રહેતાં પતિને વીડિયો કોન્ફરન્સિંગથી સમાધાનની પ્રક્રિયામાં ભાગ લેવાની મંજૂરી આપી છે. આ કેસમાં હાઇકોર્ટે ન્યાય મેળવવાની પ્રક્રિયામાં ટેક્નોલોજી મદદરૂપ થવી જોઇએ એ વાત ઉપર ભાર પણ મૂક્યો છે. વીડિયો કોન્ફરન્સિંગથી ભાગ લેવાની વિનંતીને નકારી કાઢી હતીઅમદાવાદ ફેમિલી કોર્ટના આદેશને આ સમગ્ર પ્રકરણમાં પડકારવામાં આવ્યો હતો. હાઈકોર્ટે ફેમિલી કોર્ટના આદેશને રદ કર્યો હતો. જેમાં પરસ્પર સંમતિથી છૂટાછેડાના કેસની વિચારણા કરતી વખતે અમેરિકા સ્થિત પતિની વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સમાધાન પ્રક્રિયામાં ભાગ લેવાની વિનંતીને નકારી કાઢવામાં આવી હતી. ફેમિલી કોર્ટના આદેશને રદ કરતાં હાઇકોર્ટે નોંધ્યું હતું કે કેસના તથ્યોને ધ્યાનમાં લીધા વિના વિનંતીને બ્લાઇન્ડલી નકારી કાઢવામાં આવી હતી. ટ્રાયલ કોર્ટે યંત્રવત રીતે અને આંખો બંધ કરીને નિર્ણય કર્યોહાઇકોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે, આ કેસના તથ્યો અને હકીકતોને ધ્યાનમાં લેતા આ કોર્ટનું માનવું છે કે ટ્રાયલ કોર્ટે યંત્રવત રીતે અને આંખો બંધ કરીને નિર્ણય કર્યો છે અને અરજદારની અરજીને નકારી કાઢી છે. આવા અભિગમના લીધે ન્યાયનું મિસ કેરેજ થયું છે. તેથી આવો નિર્ણય કાયદાની દ્રષ્ટિએ ટકી શકે નહીં અને તેથી તેમાં દખલગીરી કરવી જરૂરી જણાય છે અને આ આદેશને રદ કરવામાં આવે છે. વીડિયો કોન્ફરન્સિંગ એક કોસ્ટ ઇફેક્ટિવ અને કાર્યક્ષમ વિકલ્પહાઇકોર્ટે સુપ્રીમ કોર્ટના એક ચુકાદામાં વર્ણિત ટેકનોલોજીનો મુદ્દો પ્રસ્તુત કેસમાં ટાંકતાં નોંધ્યું છે કે યોગ્ય રીતે ટેકનોલોજીનો ઉપયોગ ન્યાય અને ફેમિલી કોર્ટના કાયદા હેઠળની કાર્યવાહીને સુલભ બનાવે છે. વીડિયો કોન્ફરન્સિંગ એક કોસ્ટ ઇફેક્ટિવ અને કાર્યક્ષમ વિકલ્પ છે અને એ ટેકનોલોજી આધારિત ઉકેલો પૂરા પાડે છે, જે ન્યાય મેળવવા માટે અપનાવવા જોઈએ. પ્રસ્તુત કેસમાં લગ્નના થોડા દિવસો બાદ જ પતિ-પત્ની અલગ થઈ ગયા હતા. પત્નીએ ભરણપોષણનો દાવો છોડી દીધો છે અને સમાધાનના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. પતિને વિદેશથી મુસાફરી કરવા મજબૂર કરવું એ અન્યાયી અને ગેરવાજબીત્યારે વીડિયો કોન્ફરન્સિંગ એ એક ટેકનોલોજીકલ સુવિધા છે, જે વિવિધ સ્થળોએ રહેતી વ્યક્તિ સાથે હાઇબ્રીડ રીતે મુલાકાત કરાવી શકે છે. આ ટેકનોલોજીનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં વ્યાપકપણે થઇ રહ્યો છે. હકીકતમાં વીડિયો કોન્ફરન્સિંગનો ઉપયોગ એ સુનિશ્ચિત કરે છે કે, ન્યાયિક કાર્યવાહી કાર્યક્ષમ રીતે અને બિનજરૂરી વિલંબ વિના પૂર્ણ થાય. ફક્ત સમાધાનની કાર્યવાહીમાં ભાગ લેવા માટે પતિને વિદેશથી મુસાફરી કરવા માટે મજબૂર કરવું એ અન્યાયી અને ગેરવાજબી બંને હશે. બંનેએ સંમતિથી છૂટાછેડા મેળવવા ફેમિલી કોર્ટમાં અરજી કરીઆ કેસના પતિ અને પત્ની વચ્ચે અમદાવાદમાં વર્ષ 2024માં લગ્ન થયા હતા. જોકે પતિ વિદેશમાં રહેતો હોવાથી પતિ-પત્ની લગ્નના પાંચ-છ દિવસ બાદથી જ અલગ-અલગ રહેતા હતા. ત્યારબાદ બંનેએ સંમતિથી છૂટાછેડા મેળવવા માટે અમદાવાદ ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. જો કે કાયદા મુજબ બંને પક્ષો વચ્ચે સમાધાન અને સમજુતિ માટે કોર્ટે પ્રયાસ કરવાના હોય. પરંતુ પ્રસ્તુત કેસમાં પતિ વિદેશ રહેતો હોવાથી તેણે પાવર ઓફ એટર્નીના માધ્યમથી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી અને તે સમાધાનની પ્રક્રિયામાં રૂબરૂ હાજર થઇ નહીં શકે એમ જણાવ્યું હતું. સાથે જ તેણે વીડિયો કોન્ફરન્સિંગથી આ પ્રક્રિયામાં બાગ લેવાની મંજૂરી માંગી હતી. જોકે આ મંજૂરી ફેમિલી કોર્ટે રદ કરતાં મામલો હાઇકોર્ટ પહોંચ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરકાંઠા જિલ્લાના વિકાસમાં નવું સોપાન ઉમેરતા તલોદ તાલુકાના આદર્શ ગામ નવલપુર ખાતેથી અંદાજે રૂ. 72 કરોડના કુલ 1999 જેટલા વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ નવલપુર ગ્રામ પંચાયતના નવા બિલ્ડીંગ તેમજ ગામના અમૃત સરોવર સ્થિત સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર પાસે વિકાસના કામો માટે નાણાંની કોઈ કમી નથી. સરકાર છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા માટે મન મૂકીને ખર્ચ કરી રહી છે. તેમણે અધિકારીઓ અને નાગરિકોને સરકારી કામને પોતાનું સમજીને કરવા આહ્વાન કર્યું હતું, જેથી તેની ગુણવત્તા અને આયુષ્ય આપોઆપ વધી જાય. મુખ્યમંત્રીએ નવલપુર ગામને ગ્રામીણ વિકાસનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે નોંધ્યું કે, આ ગામમાં સરપંચથી લઈને તમામ સભ્યો મહિલાઓ છે, જે મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. નવલપુરે 'સમરસ ગામ'ના વિચારને ચરિતાર્થ કરવાની સાથે પાણીના મીટર જેવી આધુનિક સુવિધાઓ અને 100% સોલાર સિસ્ટમ અપનાવીને દેશને નવી રાહ ચીંધી છે. મુખ્યમંત્રીએ સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતી કર્કવૃત્ત રેખાના ભૌગોલિક મહત્વને વૈશ્વિક ઓળખ આપવા માટે રૂ. 8 કરોડના ખર્ચે નિર્મિત અદ્યતન 'સાયન્સ પાર્ક'નું લોકાર્પણ કર્યું હતું. 1.5 એકરમાં ફેલાયેલા આ પાર્કમાં ટ્રોપિક ઓફ કેન્સર ટાવર, સનડાયલ અને ઇનફોગ્રાફિક એક્ઝિબિશન હોલ જેવી સુવિધાઓ છે, જે બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવશે એમ તેમણે ઉમેર્યું હતું. શિક્ષણ ક્ષેત્રે 'નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના'ની સફળતાના કારણે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓમાં 19% નો વધારો થયો હોવાનું પણ મુખ્યમંત્રીએ નોંધ્યું હતું. મુખ્યમંત્રીએ ઓછું વજન ધરાવતી સગર્ભા માતાઓ માટેના 'લાલન-પાલન' કાર્યક્રમ અને બાળકોમાં ટાઈપ-1 ડાયાબિટીસ નિયંત્રણ માટેની કામગીરીની પણ સરાહના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આરોગ્ય ક્ષેત્રની આ બંને પહેલોમાં શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રતિષ્ઠિત 'સ્કૉચ એવોર્ડ' એનાયત થયો છે, જે જિલ્લા માટે ગૌરવની બાબત છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે કુલ 1999 જેટલા કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં વાહન વ્યવહાર વિભાગના રૂ. 1390 લાખના કામો અને સામાન્ય વહીવટ વિભાગના રૂ. 3667 લાખના કામોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ધારાસભ્ય વી.ડી. ઝાલા, રમણલાલ વોરા, કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ અને નિવાસી અધિક કલેકટર સુશ્રી ક્રિષ્ના વાઘેલા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગોધરાની ઘનશ્યામ ગેસ એજન્સીમાં જિલ્લા પુરવઠા અધિકારીની આકસ્મિક તપાસ દરમિયાન બિનહિસાબી ગેસ સિલિન્ડરનો જથ્થો મળી આવ્યો છે. આ જથ્થો સીઝ કરીને એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પંચમહાલ જિલ્લામાં ગેસ સિલિન્ડરોની સંગ્રહખોરી અને કાળાબજારી રોકવા માટે પુરવઠા વિભાગ દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે આ તપાસ હાથ ધરાઈ હતી. જિલ્લા પુરવઠા અધિકારી ડૉ. ભાર્ગવ ડાંગર અને તેમની ટીમે ગોધરાના લકઝુરા હોટલ પાછળ આવેલી ઘનશ્યામ ગેસ એજન્સીના ગોડાઉન પર આકસ્મિક તપાસ કરી હતી. આ ગોડાઉન હિતેશભાઈ પી. ઘરમચંદાણી દ્વારા સંચાલિત છે. તપાસ દરમિયાન, ગોડાઉનમાં રહેલા 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ બોટલોનું સ્ટોક રજિસ્ટર સાથે મેળવણું કરવામાં આવ્યું હતું. જેમાં 17 ભરેલા ગેસ બોટલ વધારાના (બિનહિસાબી) મળી આવ્યા હતા. જિલ્લા પુરવઠા અધિકારીએ કુલ ₹33,785ની બજાર કિંમતનો આ જથ્થો સીઝ કર્યો છે. આ ગેરરીતિ બદલ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને વડોદરા સ્થિત બાલાજી કોલેજ ઓફ લો દ્વારા ભારતીય ન્યાયિક પ્રક્રિયામાં આવેલા ઐતિહાસિક પરિવર્તનોને સમજવા માટે એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં કાયદાકીય નિષ્ણાતો, વકીલો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં યોજાયેલા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન વાઈસ ચાન્સેલર પ્રો. હરિભાઈ કટારીયાએ કર્યું હતું. તેમણે કાયદાકીય શિક્ષણના સતત અપડેટ અને તેના સામાજિક મહત્વ પર ભાર મૂક્યો હતો. ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ રવિ આર. ત્રિપાઠી વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવા કાયદાઓની વ્યાવહારિક અસરો વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી અને જણાવ્યું હતું કે નવા કાયદાઓ ન્યાયતંત્ર માટે નવી તકો સાથે પડકારો પણ લાવ્યા છે, જેના માટે દરેક કાયદાવિદે સજ્જ થવું અનિવાર્ય છે. તકનીકી સત્રોમાં પૂર્વ ડિસ્ટ્રિક્ટ જજ જે.એન. બ્રહ્મભટ્ટ, ડૉ. અકીલ અલી સૈયદ અને રાજસ્થાન યુનિવર્સિટીના લો ફેકલ્ટીના ડીન ડૉ. સંજુલા થાનવીએ મુખ્ય વક્તા તરીકે હાજરી આપી હતી. તેમણે પીએચ.ડી સ્કોલર્સ, ફેકલ્ટી મેમ્બર્સ અને એડવોકેટ્સ સાથે સીધો સંવાદ સાધી કાયદાના આધુનિકીકરણ અંગેના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો. આ આયોજન અંગે બાલાજી સંસ્થાના ચેરમેન ડૉ. ધર્મેશ જે. પટેલ અને પ્રેસિડેન્ટ ડૉ. ગિરીશ જે. પટેલે જણાવ્યું હતું કે, નવા અમલી બનેલા કાયદાઓ વિશે વિદ્યાર્થીઓ અને ન્યાયિક વ્યવસ્થા સાથે જોડાયેલા લોકોમાં જાગૃતિ લાવવી એ સમયની માંગ છે. આ સેમિનાર કાયદાની આધુનિક અસરોને સમજવામાં એક મહત્વનું માધ્યમ બન્યું છે. કાર્યક્રમના અંતે તમામ સહભાગીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
શહેરના નરોડા વિસ્તારમાં મેવાડા પાર્ટી પ્લોટ નજીક બાપાસીતારામ ચોકથી અયોધ્યા ધામ વચ્ચેના ખેતરમાં ઝાડ પર લટકી યુવક દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે. ઓરિસ્સાના રહેવાસી અને સુરત ખાતે મજૂરીકામ કરનારા યુવકે વહેલી સવારે અથવા મોડી રાત્રે ખુલ્લા ખેતરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જે અંગે બપોરે સ્થાનિક લોકોને જાણ થઈ હતી, જેના પગલે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા કૃષ્ણનગર પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસે તેમના પરિવારજનોને જાણ કરી પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરી અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ જોશીએ જણાવ્યું હતું કે, નરોડા મેવાડા પાર્ટી પ્લોટ નજીક એક ખુલ્લા ખેતરમાં ઝાડ ઉપર યુવકની લાશ લટકતી હોવા અંગેનો મેસેજ મળ્યો હતો. જે મેસેજ મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી, જ્યારે ત્યાં તપાસ કરવામાં આવી તો ઝાડ પર ગળાફાંસો ખાધેલી હાલતમાં યુવક લટકેલો હતો. જેથી, પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા તેની પાસેથી આધારકાર્ડ અને પાનકાર્ડ મળી આવ્યું હતું. જેમાં મૂળ ઓરિસ્સાનો રહેવાસી અને હાલમાં સુરત ખાતે રહેતો સ્વાઈન શિવારામ નામનો વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું છે. તેના સુરત ખાતેના મિત્ર અને પરિવારજનોને જાણ કરી અકસ્માત મોત નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
સુરત મહાનગરપાલિકામાં ચૂંટાયેલા જન પ્રતિનિધિઓની પાંચ વર્ષની ટર્મ આજે પૂર્ણ થતા, મેયર દક્ષેશ માવાણી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ સહિતના પદાધિકારીઓએ સત્તાવાર રીતે વિદાય લીધી છે. ભવ્ય પ્રોટોકોલ અને સરકારી લવાજમ વચ્ચે રહેતા નેતાઓ આજે સામાન્ય નાગરિકની જેમ પોતાની ખાનગી કારમાં મનપા કચેરી છોડીને રવાના થયા હતા.પદાધિકારીઓની વિદાય સમયે વિજયોત્સવ જેવા દૃશ્યો જોવા મળ્યા હતા. શાસકોની વિદાય: સરકારી ઠાઠ છોડી ખાનગી ગાડીમાં ઘરે પરત ફર્યાઆજે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે દ્રશ્યો કંઈક અલગ જ હતા. આજે ચૂંટાયેલા પ્રતિનિધિઓના ટર્મ પૂર્ણ થતાં પાંચ વર્ષ સુધી જે સરકારી ગાડી, ડ્રાઈવર અને કચેરીના સુખ-સાહેબીમાં નેતાઓ લોકસેવા કરતા હતા, તે તમામ સુવિધાઓ આજે તેમણે પાલિકાને પરત કરી દીધી હતી. મેયર દક્ષેશ માવાણી અને સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલે પોતાની ચેમ્બરની ચાવીઓ અને ગાડીઓ સોંપી દીધી હતી. અત્યાર સુધી લાલ લાઈટ અને પ્રોટોકોલ સાથે ફરતા નેતાઓ આજે પોતાની પ્રાઈવેટ કારમાં બેસીને નીકળતા જોવા મળ્યા હતા, જે સત્તાના પરિવર્તનની સાક્ષી પૂરતું હતું. વિદાય વેળાએ પણ ઉત્સાહ: મેયર અને ચેરમેનની 'જુગલબંધી' ચર્ચામાંભલે આજે પદાધિકારીઓનો છેલ્લો દિવસ હતો, પરંતુ ભાજપના કાર્યકરો અને સમર્થકોની ભીડ જોઈને એવું લાગતું હતું કે જાણે આજે પદગ્રહણનો પ્રથમ દિવસ હોય. વિદાયના સમયે મેયર દક્ષેશ માવાણી અને ચેરમેન રાજન પટેલ વચ્ચે અનોખી કેમેસ્ટ્રી જોવા મળી હતી. બંને નેતાઓ એક જ કારના બે દરવાજા પાસે ઊભા રહી, કારની છત પર હાથ મેળવીને કાર્યકરોનું અભિવાદન ઝીલતા નજરે પડ્યા હતા. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જે શાસક પક્ષની આંતરિક એકતાનો સંકેત આપી રહી છે. અંતિમ સામાન્ય સભામાં હંગામો: લોકશાહીના મર્યાદાના લીરેલીરા ઉડ્યામંગળવારે યોજાયેલી પાંચ વર્ષની ટર્મની અંતિમ સામાન્ય સભા યાદગાર રહેવાને બદલે વિવાદિત રહી હતી. સભામાં વિવિધ એજન્ડા પર ચર્ચા દરમિયાન શાસક અને વિપક્ષ સામસામે આવી ગયા હતા. વિપક્ષી સભ્યો દ્વારા કરવામાં આવેલા હંગામા અને સૂત્રોચ્ચારને કારણે વાતાવરણ તંગ બન્યું હતું. એક તબક્કે તો વાત એટલી વણસી હતી કે સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા, જે સુરત મનપાની ગરિમાને લજવે તેવા હતા. અંતે સભાને અનિશ્ચિત મુદત માટે મુલતવી રાખવામાં આવી હતી. વહીવટદાર શાસનનો પ્રારંભ: મિલીન્દ તોરવણે સંભાળશે સુરતની કમાનજન પ્રતિનિધિઓની ટર્મ પૂરી થતા હવે સુરત મહાનગરપાલિકામાં 'વહીવટદાર શાસન' લાગુ થઈ ગયું છે. રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા વરિષ્ઠ આઈએએસ અધિકારી મિલીન્દ તોરવણેએ પાલિકાના વહીવટદાર તરીકેની જવાબદારી સંભાળી લીધી છે. હવે જ્યાં સુધી સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓ ન યોજાય અને નવું બોર્ડ અસ્તિત્વમાં ન આવે, ત્યાં સુધી શહેરના તમામ નીતિવિષયક અને વહીવટી નિર્ણયો વહીવટદાર દ્વારા લેવામાં આવશે. વિકાસ કાર્યોની સમીક્ષા: પાંચ વર્ષના લેખાજોખા અને ભવિષ્યની આશાછેલ્લા પાંચ વર્ષમાં સુરત મનપા દ્વારા મેટ્રો રેલ, નવા બ્રિજ અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ પર ભાર મૂકવામાં આવ્યો હતો. વિદાય લેતા પદાધિકારીઓએ દાવો કર્યો હતો કે તેઓએ શહેરના વિકાસ માટે દિવસ-રાત મહેનત કરી છે. જોકે, વિપક્ષનો આક્ષેપ છે કે અનેક પ્રોજેક્ટ્સ હજુ અધૂરા છે. હવે વહીવટદારના શાસનકાળમાં આ કામો કેટલી ગતિએ આગળ વધે છે તે જોવું રહ્યું. શહેરીજનોમાં પણ હવે નવી ચૂંટણીઓ ક્યારે આવશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ભાજપ સંગઠન એક્શન મોડમાં: નવા ચહેરાઓ માટે હવે દોડધામ શરૂશાસકોની ટર્મ પૂર્ણ થતાની સાથે જ રાજકીય ગરમાવો વધી ગયો છે. જે રીતે આજે કાર્યકરોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી, તે સૂચવે છે કે ભાજપ અત્યારથી જ આગામી ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયું છે. મેયર અને ચેરમેનની વિદાય સાથે જ હવે નવા દાવેદારોએ પોતપોતાની ગોઠવણ શરૂ કરી દીધી છે. ટૂંક સમયમાં જ વોર્ડ સ્તરે બેઠકોનો દોર શરૂ થશે. આજે પાલિકાની કચેરી ખાલી થઈ છે, પણ રાજકીય મેદાનો હવે ગજવા માટે તૈયાર છે.
ભાવનગર SOG પોલીસે અધેળાઈ ગામે એક રહેણાંક મકાનમાં દરોડો પાડી કોડીન ફોસ્ફેટ તત્વ ધરાવતી કફ સિરપની મોટી સંખ્યામાં બોટલો સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે મુદ્દામાલ કબ્જે કરી શખ્સની પૂછપરછ હાથ ધરતા અન્ય એક શખ્સનું નામ પણ સામે આવ્યું છે, જેને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા આગળની તપાસ અને શોધખોળ શરૂ કરવામાં આવી છે. કફ સિરપની કુલ 339 બોટલો સાથે ઝડપી પાડ્યો હતોભાવનગર SOG દ્વારા નશીલા કફ સિરપના ગેરકાયદે વેપાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ બાતમીના આધારે SOG પોલીસ સ્ટાફના કોન્સ્ટેબલ હરપાલસિંહ ગોહિલે દરોડો પાડી અધેળાઈ ગામના રવિભાઈ રમેશભાઈ મીઠાપરાને તેના ઘરેથી કોડીન ફોસ્ફેટ તત્વ ધરાવતી કફ સિરપની કુલ 339 બોટલો સાથે ઝડપી પાડ્યો હતો. 72,356 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતોપોલીસે શખ્સ પાસેથી 47,356ની કફ સિરપની બોટલો અને 25,000નો મોબાઇલ સહિત કુલ 72,356નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ બનાવમાં અન્ય શખ્સ આકાશભાઈ ભરતભાઈ સોલંકીનું નામ સામે આવતાં તેને ઝડપી લેવા પોલીસ દ્વારા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે SOGના ASI વિઠ્ઠલભાઈ ચૌહાણ દ્વારા વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
મહેસાણા જિલ્લા કલેક્ટર એસ.કે.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ અને નિવાસી અધિક કલેક્ટર જે.કે. જેગોડાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની ગેસ એજન્સી ધારકોની એક મહત્વની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના તમામ 10 તાલુકાઓની કુલ 38 ગેસ એજન્સીઓના પ્રતિનિધિઓ સહિત IOCL, HPCL અને BPCLના સેલ્સ ઓફિસરો તેમજ સાબરમતી ગેસના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તંત્રએ કહ્યું કે, જિલ્લામાં ગેસનો પૂરતો જથ્થો હોવાથી ગભરાવાની કે બિનજરૂરી સંગ્રહ કરવાની જરૂર નથી. ગેસ સિલિન્ડરનો બિનજરૂરી સંગ્રહ ન થાય તે માટે એજન્સીઓને કડક તકેદારી રાખવા આદેશઆ બેઠક દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, મહેસાણા જિલ્લામાં હાલ ઘરેલુ LPG કનેક્શન તેમજ CNG અને PNG માટે પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. રાજ્ય સરકારની સૂચના મુજબ જિલ્લામાં ગેસ સિલિન્ડરનો બિનજરૂરી સંગ્રહ કે કાળાબજારી ન થાય તે માટે એજન્સીઓને કડક તકેદારી રાખવા આદેશ અપાયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગ્રાહકોને નિર્ધારિત સમયમર્યાદામાં, નિયત ભાવ અને પૂરા વજન સાથે સિલિન્ડર મળી રહે તેની ખાતરી એજન્સીઓએ કરવાની રહેશે. LPG કંટ્રોલ ઓર્ડર-2000 મુજબ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશેતમામ તાલુકાના મામલતદારો અને પુરવઠા અધિકારીઓને ઓનલાઈન માધ્યમથી સૂચના આપવામાં આવી હતી કે, તેઓ તાલુકા કક્ષાએ નિયમિત બેઠકો યોજી દૈનિક ધોરણે ગેસની માગ અને પુરવઠાનું સઘન મોનિટરિંગ કરે. જો કોઈ એજન્સી દ્વારા ગેરરીતિ આચરવામાં આવશે તો આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 અને LPG કંટ્રોલ ઓર્ડર-2000 મુજબ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ડિલિવરીનો સમયગાળો 21 દિવસના બદલે 25 દિવસ કરવામાં આવ્યોઓઇલ માર્કેટીંગ કંપનીઓના સેલ્સ ઓફિસરોએ માહિતી આપી હતી કે, હાલમાં કોમર્શિયલ ગેસ અંગે કેન્દ્ર સરકારની એડવાઇઝરી મુજબ કામગીરી ચાલી રહી છે અને ડિલિવરીનો સમયગાળો 21 દિવસના બદલે 25 દિવસ કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્રએ સામાન્ય જનતાને અપીલ કરી છે કે જિલ્લામાં ગેસનો પૂરતો જથ્થો હોવાથી ગભરાવાની કે બિનજરૂરી સંગ્રહ કરવાની જરૂર નથી.તેમજ બિનજરૂરી એડવાન્સ બુકિંગ ન કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લામાં ગેસ સપ્લાય ચેઇન સુચારૂ રીતે જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરી સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
જે લોકોનું ઘર ગેસના બાટલા પર ચાલે છે તેમને ચિંતા થવા લાગી છે. જે લોકો કોમર્શિયલ ગેસના બાટલાથી રેસ્ટોરન્ટ, નાની હોટેલ ચલાવે છે તેમણે તાળાં મારવાનો વારો આવ્યો છે. જ્યાં પાઈપ લાઈનથી ગેસ પહોંચે છે તેમણે પણ ચિંતા કરવી પડશે. આ બધું થઈ રહ્યું છે મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે. ઈઝરાયલ-ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધની આગ હવે આપણાં રસોડાં સુધી પહોંચી ગઈ છે. આગળ શું થશે, તેની ચિંતા દરેકને થવા લાગી છે. યુદ્ધની અસર માત્ર ભારત પર જ થઈ છે એવું નથી. 9 દેશોમાં તેની અલગ અલગ રીતે અસર થઈ છે. પણ આજે આપણે ભારતમાં ગેસની જે બૂમરાણ મચી છે, તેની વાત કરવાની છે. નમસ્કાર, ભારતમાં ગેસના બાટલામાં જે ગેસ ભરવામાં આવે છે તેને લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એટલે LPG કહે છે. ઘરે ઘરે પાઈપ લાઈનથી જે ગેસ આવે છે તેને પાઈપ્ડ નેચરલ ગેસ એટલે PNG કહે છે. LPG બને છે તો ક્રૂડ ઓઈલમાંથી જ, એટલે તેની તંગી વધારે થવાની પૂરી શક્યતા છે. જ્યારે PNGને એટલે કે પાઈપ ગેસને લિક્વિફાઈડ નેચરલ ગેસ એટલે LNGમાંથી પ્રોસેસ કરીને બનાવાય છે. ભારતમાં 80 ટકા ગેસ ગલ્ફ દેશોમાંથી શિપમાં આયાત થાય છે. મોટાભાગના ગેસ LNG એટલે લિક્વિફાઈડ નેચરલ ગેસમાં પ્રોસેસ કરીને બનાવાય છે. પણ અત્યારે તો કતારે LNGનું પ્રોડક્શન બંધ કરી દીધું છે. માનો કે યુદ્ધ પૂરું થઈ જાય તો પણ કતારને ગેસ પ્રોડક્શન શરૂ કરતાં બીજા 15 દિવસ થઈ જાય. દેશમાં રાતોરાત ગેસની અછત ઊભી થઈ ભારતમાં રાંધણગેસની અછત ઊભી થઈ છે. રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્રમાં મુંબઈ અને કર્ણાટકમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય બંધ કરી દેવાઈ છે. મુંબઈમાં 20% રેસ્ટોરન્ટ બંધ કરવા પડ્યા છે અને બે દિવસમાં 50% રેસ્ટોરન્ટ બંધ થઈ જશે. ભારત સરકારે એશેન્શિયલ સર્વિસ મેઈન્ટેનન્સ એક્ટ (એસ્મા) લાગૂ કરી દીધો છે. આ કાયદો એવો છે કે જે વસ્તુની કટોકટી થઈ હોય તે વસ્તુઓના વપરાશમાં મર્યાદા રાખવાની. જેમ કે કોમર્શિયલ ગેસની અછત વધારે છે તો તેને હોટેલ, રેસ્ટોરન્ટ, ઈન્ડસ્ટ્રીમાં નહીં આપવાનો પણ હોસ્પિટલો અને એજ્યુકેશન સંસ્થાઓમાં જ આપવાનો. ઘરેલુ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 115 રૂપિયાનો વધારો કરી દેવાયો છે. છતાં સંગ્રહખોરો બ્લેકમાં બાટલા વેચી રહ્યા છે, આ હકીકતથી આંખ આડા કાન કરી શકાય નહીં. કોમર્શિયલ ગેસ પર કરોડો લોકો આધાર રાખે છે. એક કોમર્શિયલ ગેસના બાટલાથી કોઈ એક વ્યક્તિનું ઘર ચાલતું હોય છે. તે ચા, ગાંઠીયા બનાવીને કમાતો હોય છે. નાનાં રેસ્ટોરન્ટવાળા પણ કોમર્શિયલ ગેસના બાટલાના આધારે જ ધંધો ચલાવે છે. મોટાભાગના રેસ્ટોરન્ટ બંધ થાય તો તેની સીધી અસર ઝોમેટો, સ્વીગીમાં ફૂડ ડિલિવરી કરનારા ડિલિવરી બોયની કમાણી પર પડવાની છે. નાના મોટા કેટરિંગવાળાના ધંધા પર પણ અસર થવાની છે. પીજી કેન્ટીન, હોસ્ટેલની મેસ અને ટિફિન સર્વિસ ચલાવીને રોટી બનાવતા લાખો લોકોની 'રોજીરોટી' છીનવાઈ રહી છે. યુદ્ધ લાંબુ ચાલશે તો સંજોગો વધારે ખરાબ થઈ શકે છે. ભારતમાં LPG ગેસની અછત કેમ થઈ? ભારતનું પોતાનું LPG ગેસ પ્રોડક્શન બહુ લિમિટેડ છે અને મોટાભાગનો LPG ગેસ આયાત થાય છે. 2024-25માં ભારતમાં LPG ગેસની ખપત 3 કરોડ ટન રહી. તેમાંથી 1 કરોડ ટન ગેસનું પ્રોડક્શન દેશમાં જ થયું. એનો મતલબ એવો થયો કે ભારતે ગેસની જરૂરિયાત પૂરી કરવા માટે 58% આયાત પર નિર્ભર રહેવું પડે છે. LPG ગેસની આયાત કતાર, સાઉદી અરબ, UAE અને કુવૈતમાંથી થાય છે. ગલ્ફ દેશોમાંથી શિપના કન્ટેનરમાં ગેસ ભારત આવે છે. આ ગેસ હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાંથી પસાર થઈને આવે છે પણ અત્યારે ઈરાને દરિયાનો રસ્તો હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધો છે એટલે આ દેશોમાંથી ભારત તરફ ગેસ આવી શકતો નથી. એટલે ભારતમાં ગેસની અછત થઈ. ભારત વર્ષમાં 3 કરોડ LPG ગેસના બાટલાનો ઉપયોગ કરે છે. તેમાંથી 87% હિસ્સો ડોમેસ્ટિકમાં જાય છે. બાકીનો 13% ભાગ કોમર્શિયલમાં જાય છે. LPG ગેસની આયાતના 85 ટકા સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી થઈને ભારત આવે છે. આ રસ્તો બંધ છે એટલે આયાત પણ બંધ છે. ભારતમાં LPG સપ્લાય ભારત પાસે સ્ટોક કેટલો? કતારે LNG ગેસ બનાવવાનું બંધ કરી દેતાં ભારત પર સંકટના વાદળો જે રીતે રાંધણગેસને LPG કહે છે તે રીતે બીજા ઉપયોગોમાં લેવાતા ગેસને LNG એટલે લિક્વિફાઇડ નેચરલ ગેસ કહે છે. LNGનો ઉપયોગ પાવર જનરેશન, ઈન્ડસ્ટ્રીની પ્રોડક્ટ બનાવવા માટે વધારે થાય છે. ટૂંકમાં નાની મોટી ફેક્ટરીઓ, કારખાનાઓમાં LNG વધારે વપરાય છે. ભારત કતાર પાસેથી મોટા પ્રમાણમાં LNG ખરીદે છે અને હવે તો યુદ્ધના કારણે કતારે જ આ ગેસ ઉત્પાદન બંધ કરી દીધું છે. યુદ્ધ શરૂ થયાના ચાર-પાંચ દિવસમાં જ ભારતની કંપનીઓએ સાવચેતીના પગલાં તરીકે ઈન્ડસ્ટ્રીયલ ગેસ સપ્લાયમાં લગભગ 20% ઘટાડો કરી નાખ્યો. એટલે પ્રોડક્શન પર પણ અસર પડશે. ભારત લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)નો વિશ્વનો ચોથો સૌથી મોટો આયાતકાર અને LPG નો બીજો સૌથી મોટો આયાતકાર દેશ છે. આ બંને ગેસ કતાર જ વધારે બનાવે છે. ભારત તેની મોટાભાગની LPG અને તેની LNG જરૂરિયાતોનો બે તૃતીયાંશ ભાગ મિડલ ઈસ્ટમાંથી ખરીદે છે. હવે મિડલ ઈસ્ટમાં સ્થિતિ ખરાબ છે એટલે ભારત તરફ ગેસ આવતો નથી. LPG ગેસ પણ બને છે તો ક્રૂડ ઓઈલમાંથી જ!! આપણા રસોડાં સુધી ગેસ પહોંચે છે પણ તે કેવી રીતે બને છે અને પહોંચે છે મોટાભાગના લોકો જાણતા નથી હોતા. રાંધણગેસ બને છે તો ક્રૂડ ઓઈલમાંથી જ. ક્રૂડ ઓઈલ કાઢીને તેને રિફાઈન કરવાની પ્રોસેસ થાય ત્યારે બે તત્વો ક્રૂડ ઓઈલમાંથી મળે છે. પ્રોપેન અને બ્યુટેન. આ બે તત્વોને મિક્સ કરીને LPG ગેસ બનાવાય છે. આ ગેસને પહેલાં ટેન્કમાં ભરાય છે. ગેસ ઠંડો પડે તો પ્રવાહી રૂપમાં ફેરવાઈ જાય છે. વધારે પ્રેશરથી તરલ પદાર્થરૂપે બાટલામાં ભરવામાં આવે છે. સિલિન્ડરમાં તે લિક્વિડ ફોર્મમાં હોય છે એટલે બાટલો પછડાય તો અંદર પાણી જેવો અવાજ આવે છે. બાટલામાંથી આ ગેસ જ્યારે બહાર આવે છે ત્યારે તે હવામાં ગેસ બની જાય છે. LPGનો પોતાનો કોઈ રંગ કે ગંધ નથી હોતા પણ લિકેજની જાણ થઈ શકે એટલે તેમાં તીવ્ર દુર્ગંધવાળો પદાર્થ મિક્સ કરવામાં આવે છે. આ ગંધવાળા પદાર્થનું નામ છે- એથિલ મરકેપ્ટન. આપણે કહીએ છીએ કે કાંઈક ગેસ જેવી ગંધ આવે છે. તે હકીકતે ગેસની પોતાની ગંધ નથી હોતી. એથિલ મરકેપ્ટનની ગંધ હોય છે. પાઈપ લાઈનથી ગેસ આવે છે, તેમણે પણ ચિંતા કરવી પડશે અત્યારે બાટલાની બૂમરાણ વચ્ચે એ લોકો મનમાં રાહત લઈને બેઠા છે કે, હાશ! મારે ત્યાં તો પાઈપ લાઈનથી ગેસ આવે છે એટલે ચિંતા નથી. પણ આ માન્યતા ભૂલભરેલી છે. પાઈપથી ગેસ આવતો હોય તો પણ ચિંતા તો કરવી જ પડે એવું છે. કારણ કે જો યુદ્ધ લાંબો સમય ચાલશે તો પાઈપમાંથી આવતો ગેસ પણ બંધ થઈ જશે. ઘરમાં જે પાઈપ લાઈનથી ગેસ આવે છે તેને PNG - પાઈપ્ડ નેચરલ ગેસ કહે છે. ઈન્ડસ્ટ્રી માટે જે ગેસ બને છે LNG- લિક્વિફાઈડ નેચરલ ગેસ. તેના પર રિ-ગેસિફાઈંગની પ્રોસેસ થાય છે. તેમાંથી બને છે PNG. આ ગેસ આમ તો જમીનમાંથી સીધો નીકળે છે પણ તેના પર અલગ અલગ પ્રોસેસ થયા પછી પાઈપ મારફત તમારા રસોડાં સુધી પહોંચે છે. ભારતમાં મિડલ ઈસ્ટમાંથી LNG આયાત થાય છે અને ભારતનો પોતાનો સ્થાનિક કુદરતી ગેસ, તે બંને ભેગા કરીને PNG બનાવાય છે. હવે કતારથી જ શિપમાં LNG આવતો બંધ થઈ જશે તો પાઈપ ગેસ બનશે કેવી રીતે? ભારતમાં 25 હજાર કિલોમીટરમાં ગેસ લાઈનનું નેટવર્ક ફેલાયેલું છે. આ નેટવર્ક ગેઈલ, મહાનગર ગેસ, ગુજરાત ગેસ, અદાણી જેવી અલગ અલગ કંપનીઓ સંભાળે છે. નળમાં પાણીનો સમય નક્કી હતો, તેમ ગેસ પણ બબ્બે કલાક જ આવી શકે એક સમય એવો હતો કે ગુજરાતમાં પાણીની તંગી હતી. ત્યારે મહાનગર પાલિકાએ પાણીના નળના સમય નક્કી કર્યા હતા. એક કલાક નળ ખુલે એટલે લોકો પાણી ભરવા અલગ અલગ વાસણો તૈયાર રાખતા. આ દિવસો ગેસની બાબતમાં પણ આવી શકે. પાઈપ્ડ ગેસ તદ્દન તો બંધ નહીં થાય પણ તેના ભાવ વધી શકે. બીજું એવું પણ થઈ શકે કે જેમ એ સમયે નળમાં પાણી માટે ચોક્કસ સમય રહેતો તેમ ગેસનો ફ્લો ચાલુ કરવા ચોક્કસ સમય નક્કી થઈ શકે. જેમ કે સવારે 10થી 12 બે કલાક અને સાંજે 7થી 9 એમ બે કલાક ગેસ આવશે. બાકીના સમયમાં ઉપરથી જ વાલ્વ બંધ કરી દેવામાં આવશે. આપણે આના માટે પણ તૈયારી રાખવી પડશે. પાઈપ ગેસ તમારા ઘર સુધી પહોંચે છે કેવી રીતે? જમીનની અંદર કુદરતી ગેસ બને છે. આ ગેસ સૌથી વધારે મિડલ ઈસ્ટના દેશોની જમીનમાં છે. જેમ ભગવાને ક્રૂડ ઓઈલ મિડલ ઈસ્ટને આપ્યું છે તેમ ગેસના ભંડાર પણ તેમને આપ્યા છે. એમાંય સૌથી વધારે ગેસ કતારની જમીનમાં છે. એક્સપર્ટ પહેલાં તો ચેક કરે છે કે જમીનમાં ગેસ ક્યાં છે? જે જગ્યાએ વધારે ગેસ જણાય ત્યાં ડ્રિલિંગ કરવામાં આવે છે. માનો કે દરિયામાં કે રણમાં જમીનની નીચે ગેસ છે તેવું જણાયું તો ત્યાંથી ડ્રિલિંગ કરીને ગેસ કાઢવામાં આવે છે. આ ગેસને પાઈપલાઈન મારફત પ્રોસેસિંગ પ્લાન્ટ સુધી પહોંચાડવામાં આવે છે. ભારતમાં પણ ઘણી જગ્યાએ પ્રોસેસિંગ પ્લાન્ટ છે. એટલે કતારની જમીનમાંથી નીકળેલો ગેસ દરિયાની અંદર બિછાવેલી લાઈનમાંથી ભારતના પ્લાન્ટમાં આવે છે. પણ કતારે હવે આ ગેસનું ઉત્પાદન ઓછું કર્યું છે અને લગભગ બંધ જેવું જ કરી નાખશે. જમીનની અંદરથી નીકળેલો ગેસ શુદ્ધ નથી હોતો એટલે પ્રોસેસિંગ પ્લાન્ટમાં ગેસ શુદ્ધ થાય છે. પછી તેને ગ્રીડ લાઈન મારફત આગળ મોકલાય છે. આ પ્રોસેસિંગ પ્લાન્ટને ગ્રીડ (પાઈપ લાઈન) સાથે કનેક્ટ કરી દેવાય છે. પ્લાન્ટમાંથી નીકળતી મોટી ગ્રીડ લાઈન અંડર ગ્રાઉન્ડ હોય છે. ત્યાંથી ટેપિંગ કરી કરીને દરેક શહેર સુધી પહોંચાડાય છે. ત્યાં સિટી ગેસ સ્ટેશન હોય છે. સિટી ગેસ સ્ટેશન એ પોઈન્ટ છે જ્યાંથી તમારા શહેરમાં ગેસ એન્ટર થાય છે. આ ગેસ PNG ગેસ હોય છે. તેમાં પણ LPGની જેમ ગંધ નથી હોતી, રંગ નથી હોતો. ગંધહિન ગેસ લિક થઈ જાય તો ખબર પડતી નથી કે ક્યાંથી લિક થાય છે. એટલે સિટી ગેસ સ્ટેશનમાં જ્યારે ગ્રીડમાં થઈને ગેસ આવે છે ત્યારે તેમાં ચોક્કસ પ્રકારની ગંધ એથિલ મરકેપ્ટન ઉમેરવામાં આવે છે. જેથી ક્યાંય પણ લિકેજ થાય તો ખબર પડે. પછી સિટી ગેસ સ્ટેશનથી અંડર ગ્રાઉન્ડ પાઈપ લાઈન મારફત આગળ મોકલી દેવાય છે. સિટી સ્ટેશનમાંથી નીકળેલો ગેસ અંડર ગ્રાઉન્ડ પાઈપથી ડિસ્ટ્રીક્ટ રેગ્યુલેટિંગ સ્ટેશનમાં પહોંચે છે. આ સ્ટેશનને DRS પણ કહે છે. અહીંથી આખા વિસ્તારનું ગેસ પ્રેશર મેઈન્ટેન થાય છે. માનો કે ક્યાંય રસ્તા કે શેરીમાંથી ગેસ લિકેજ થાય છે તો તરત આ ડિસ્ટ્રીક્ટ રેગ્યુલેટિંગ સ્ટેશનમાંથી સપ્લાય કટઓફ કરી નાખવામાં આવે છે. આ DRSમાંથી નીકળેલો ગેસ તમારી સોસાયટી પાસે ફીટ કરેલા સર્વિસ રેગ્યુલેટર સુધી આવે છે. આ રેગ્યુલેટરમાં પણ વાલ્વ હોય છે. જેથી ચોક્કસ સોસાયટીમાં લિકેજ હોય તો માત્ર વાલ્વ બંધ કરી દેવાય છે. આ રેગ્યુલેટરમાંથી તમારા કીચન સુધી ગેસ પહોંચે છે. કતારથી શિપમાં ગેસ આવે તે ખાસ ટર્મિનલમાં ઉતરે છે ભારતમાં LNGના ટેન્કર શિપમાંથી અનલોડ કરવા માટે ખાસ ટર્મિનલ્સ બનાવાયા આવ્યા છે. ગુજરાતમાં દહેજ LNG ટર્મિનલ, તમિલનાડુમાં ઇનોર LNG ટર્મિનલ અને મહારાષ્ટ્રમાં જયગઢ LNG ટર્મિનલ પર જહાજોમાંથી LNGના ટેન્કર અનલોડ કરવામાં આવે છે. અહીં લિક્વિફાઇડ ગેસને ફરીથી ગેસમાં રૂપાંતરિત કરવામાં આવે છે અને દેશના પાઇપલાઇન નેટવર્ક મારફત ઈન્ડસ્ટ્રી, પાવર પ્લાન્ટ અને ડોમેસ્ટીક ઉપયોગ માટે મોકલવામાં આવે છે. LNGમાં અનેક પ્રકારની પ્રોસેસ કરીને અલગ અલગ પ્રકારના ગેસ બનાવાય છે. ભારતમાં પાઈપ્ડ ગેસ બને છે, પણ ઓછો ભારતે ગેસની બાબતમાં મોટાભાગે મિડલ ઈસ્ટ પર નિર્ભર રહેવું પડે છે. ભારતમાં PNG બને છે પણ બહુ ઓછો બને છે. એટલો PNG બનતો નથી કે આખા દેશને ગેસ સપ્લાય કરી શકાય. ભારતમાં 4 રાજ્યો એવા છે જ્યાં PNG ગેસ બને છે. જે ભારતની 50% જરૂરિયાત પૂરી પાડે છે. બાકીનો 50% PNG ગેસ બહારથી આયાત કરેલા LNG ગેસમાંથી બને છે. ભારતના 4 રાજ્યોમાં પાઈપ્ડ ગેસ બને છે જેનાથી વાહન ચાલે છે તે CNG ગેસમાં પણ તકલીફ પડવાની ઘણી પ્રકારના ગેસ છે તેમાંથી એક CNG ગેસ પણ છે. CNGનું ફૂલફોર્મ છે- કંપ્રેસ્ડ નેચરલ ગેસ. આ મિથાઈન પ્રકારનો કુદરતી ગેસ છે જે જમીનમાંથી નીકળે છે. તેને LNG, LPG કે PNG સાથે કોઈ લેવાદેવા નથી. આના ઘટકો જ અલગ હોય છે. આ ગેસને એકદમ ઊંચા દબાણથી કંપ્રેસ્ડ કરીને બોટલમાં ભરવામાં આવે છે. પહેલા અલગથી CNG કીટ ફીટ કરાવવી પડતી હતી, હવે કંપની જ વાહનોમાં ફીટ કરીને આપે છે. મોટાભાગની ઓટો રિક્ષા અને ટેક્સીમાં CNG ફીટ હોય છે. પેટ્રોલ-ડીઝલ કરતાં ઓછું પ્રદૂષણ કરે છે એટલે તેની ડિમાન્ડ વધારે છે. પેટ્રોલ-ડીઝલની સામે તેનો ભાવ પણ ઓછો છે. અત્યારે ભારતના લગભગ 300થી વધુ જિલ્લાઓમાં CNG નેટવર્ક પહોંચી ગયું છે. ભારતમાં CNG સ્ટેશનોની સંખ્યામાં ગુજરાત મોખરે છે. ભારતનું CNG ઉત્પાદન થાય છે. ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) અને રિલાયન્સ જેવી કંપનીઓ મુંબઈ હાઈ, ગુજરાતના દરિયાકાંઠે અને આંધ્રપ્રદેશના કૃષ્ણા-ગોદાવરી બેસિનમાંથી ડ્રિલિંગથી આ ગેસ બહાર કાઢે છે. ગેઈલ જેવી કંપનીઓ આ ગેસને સ્ટેશન સુધી પહોંચાડવાનું કામ કરે છે. અલબત્ત, ભારતમાં જરૂરિયાતના 50% ટકા CNG બને છે અને 50% LNGમાંથી પ્રોસેસ કરીને બનાવાય છે. LNG આયાત થાય છે એટલે યુદ્ધ લાંબુ ચાલ્યું તો CNGમાં પણ તકલીફ પડવાની. છેલ્લે, ઈરાનની તેહરાન યુનિવર્સિટીના પ્રોફેસર ફોઆદ ઇઝાદીએ કહ્યું છે કે જ્યાં સુધી ઈરાનને યુદ્ધથી થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ નહિ થાય ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ ઘણા મહિનાઓ સુધી બંધ રહી શકે છે. આ પ્રોફેસરની વાત સાચી હોય તો એ માત્ર ભારત માટે નહિ, આખી દુનિયા માટે ચિંતાજનક છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચ : યશપાલ બક્ષી)
ઈરાન યુદ્ધની વૈશ્વિક અસરો વચ્ચે સંઘપ્રદેશ દમણમાં રાંધણ ગેસની અછતની અફવાઓ ફેલાઈ છે. આ અફવાઓને કારણે લોકોમાં ગભરાટ જોવા મળ્યો છે અને તેઓ ગેસ એજન્સીઓ તથા ગોડાઉનોની બહાર લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. તાજેતરમાં દમણમાં કોમર્શિયલ સિલિન્ડરોનો પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. આના કારણે લોકોમાં ઘરેલુ ગેસનો પુરવઠો પણ બંધ થઈ જશે તેવી આશંકા ઊભી થઈ હતી. આ 'પેનિક બાઇંગ' ને કારણે ગ્રાહકો ખાલી સિલિન્ડર લઈને એજન્સીઓ બહાર ઉમટી પડ્યા હતા. જોકે, વહીવટીતંત્ર અને ગેસ એજન્સીઓએ સ્પષ્ટતા કરી છે કે, શહેરમાં ઘરેલુ ગેસ સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરોની હોમ ડિલિવરી અને ઓનલાઈન બુકિંગ સેવાઓ રાબેતા મુજબ ચાલુ છે. દમણવાસીઓને ગભરાવાની જરૂર નથી. પરિસ્થિતિને નિયંત્રિત કરવા અને ગેસના સપ્લાયને સુચારુ રાખવા માટે કેન્દ્ર સરકારે દેશભરમાં 'એસેન્શિયલ કોમોડિટી એક્ટ 1955' લાગુ કર્યો છે. ગેસની સંગ્રહખોરી અને કાળાબજારી અટકાવવા માટે ડિલિવરી એજન્ટો દ્વારા હવે OTP અથવા બાયોમેટ્રિક વેરિફિકેશનનો સખત રીતે અમલ કરવામાં આવી રહ્યો છે. ભવિષ્યની કોઈપણ સ્થિતિને પહોંચી વળવા સરકારે તમામ ઓઇલ રિફાઇનરીઓને LPG ઉત્પાદન વધારવાનો આદેશ આપ્યો છે, જેના પગલે ઉત્પાદનમાં 10%નો વધારો પણ નોંધાયો છે. તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ખોટી અફવાઓથી દૂર રહે. બિનજરૂરી રીતે કતારોમાં ઊભા રહીને ચિંતામાં ન મુકાય અને શાંતિપૂર્વક પોતાની જરૂરિયાત મુજબ જ ગેસનું બુકિંગ કરાવે.
એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો:ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના ગુનામાં LCB પાલનપુરની કાર્યવાહી
બનાસકાંઠા LCB પાલનપુરે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનના એક વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ દુધુસિંહ ઉર્ફે દુદુભા પનસિંહ વાઘેલાની રાજમંદિર ચાર રસ્તા પાસેથી ધરપકડ કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સૂચનાઓ આપી હતી. આ સૂચનાના આધારે, LCB પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફ ડીસા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો. પેટ્રોલીંગ દરમિયાન LCBને બાતમી મળી હતી કે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કલમ 65એઇ, 116(2), 98(2), 81 હેઠળ નોંધાયેલા ગુનામાં ફરાર આરોપી દુધુસિંહ ઉર્ફે દુદુભા પનસિંહ વાઘેલા (રહે. નાંદોત્રા, તા. દાંતીવાડા, જિ. બનાસકાંઠા) રાજમંદિર ચાર રસ્તા પાસે હાજર છે. બાતમીના આધારે, LCB ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને દુધુસિંહ ઉર્ફે દુદુભા પનસિંહ વાઘેલાને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેને કાયદેસરની વધુ કાર્યવાહી માટે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
આજે રાજકોટ ખાતે ગુજરાત NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીના માર્ગદર્શન હેઠળ એક મહત્વની બેઠક યોજાઈ હતી. રાજકોટ જિલ્લા NSUI પ્રમુખ ગૌરવ ખિમસુરિયાની આગેવાનીમાં આયોજિત આ જિલ્લા કારોબારીમાં સંગઠનનું વિસ્તરણ કરતા નવી પેનલની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ કમિટીના નેતા મુકેશ ચાવડા, ગુજરાત NSUI ના પૂર્વ પ્રમુખ આદિત્યસિંહ ગોહિલ અને જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ દિપ ભંડેરી જેવા દિગ્ગજ નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પ્રદેશ મહામંત્રી પ્રશાંત મકવાણા અને વિધાનસભા 68 ના પ્રમુખ ધવલ રાઠોડે પણ હાજરી આપી કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. શિવસેના વિદ્યાર્થી પાંખના પ્રમુખ NSUI માં જોડાયાઆ કાર્યક્રમમાં સૌથી મોટું આકર્ષણ રાજકોટ શહેર શિવસેના વિદ્યાર્થી સંગઠનના હયાત પ્રમુખ જીત ખોપકરનું રહ્યું હતું. તેઓ પોતાની ટીમ સાથે NSUI માં જોડાયા છે. સંગઠન દ્વારા તેમની ક્ષમતાને ધ્યાને રાખીને જીત ખોપકરને રાજકોટ જિલ્લા NSUI ના ઉપપ્રમુખ તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તેમના જોડાવાથી વિદ્યાર્થી રાજકારણમાં NSUI વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. નારીશક્તિ અને વુમન એમ્પાવરમેન્ટ પર ભારસંગઠનમાં મહિલાઓની ભાગીદારી વધારવા અને 'વુમન એમ્પાવરમેન્ટ'ના ધ્યેય સાથે પ્રીતિબેન રાખેશિયાને મોટી જવાબદારી સોંપાઈ છે. પ્રીતિબેન (પોતાની ટીમ સહિત) સંગઠનમાં જોડાયા છે અને તેમને રાજકોટ જિલ્લા NSUI ના મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂક આગામી સમયમાં વિદ્યાર્થીનીઓના પ્રશ્નોને વધુ વાચા આપશે તેમ માનવામાં આવે છે.
પોરબંદર જિલ્લાના માધવપુર પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલા 10 મોબાઇલ ફોન શોધી કાઢી તેમના માલિકોને પરત કર્યા છે. આ ફોનની કુલ અંદાજિત કિંમત ₹5,41,386 થાય છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.ડી. નિનામાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સંચારસાથી CEIR (Central Equipment Identity Register) પોર્ટલની મદદથી આ ગુમ થયેલા ફોન ટ્રેસ કરવામાં સફળતા મેળવી હતી. શોધી કાઢવામાં આવેલા મોબાઇલ ફોન “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ દરમિયાન તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા. મોબાઇલ મેળવનાર લાભાર્થીઓમાં નાથાભાઈ વેજાભાઈ ઉલવા, નવનીતરાય ગુણવંતરાય જોશી, કાજલબેન શૈલેષભાઈ ભુવા, અશોકભાઈ જોશી, કરણ ભોજાભાઈ ઓડેદરા, ઉમંગ તોગડિયા, સોમીબેન હીરાભાઈ વાઢેર, કરગટિયા હેમંતભાઈ હરમણભાઈ અને ચૌહાણ નથુભાઈ પુંજાભાઈનો સમાવેશ થાય છે. મોબાઇલ પરત મળતાં અરજદારોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. માધવપુર પોલીસ દ્વારા ટેક્નોલોજી આધારિત તપાસ અને સતત મોનિટરિંગ દ્વારા ગુમ થયેલા મોબાઇલ શોધી લોકોમાં વિશ્વાસ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે પોલીસ પ્રજાની મિત્ર છે સૂત્રને સાર્થક કરે છે.
અપહરણના ગુનામાં આરોપી ઝડપાયો:17 વર્ષની સગીરાનું સુરક્ષિત રેસ્ક્યુ કરાયું
ડાંગ જિલ્લાના આહવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા અપહરણના ગુનામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ડાંગ-આહવાએ ઝડપી કાર્યવાહી કરી છે. પોલીસે ગણતરીના સમયમાં આરોપીને પકડી 17 વર્ષની સગીરાનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ (IPS) દ્વારા અનડિટેક્ટ ગુનાઓ ઉકેલવા અને વોન્ટેડ આરોપીઓને પકડવા કડક સૂચનાઓ અપાઈ હતી. આ સૂચનાના આધારે, ડાંગ-આહવાના પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, LCBના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.જી. અનડકટ અને તેમની ટીમે હ્યુમન અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરી. બાતમી મળી હતી કે આરોપી સગીરાને પીપલનેર ગામ નજીક વાડી વિસ્તારમાં લઈ ગયો હતો અને ત્યાંથી મહારાષ્ટ્ર તરફ પગપાળા જઈ રહ્યો હતો. આ માહિતીના આધારે, પોલીસે સુબીર તાલુકાના નકટીયા હનવત ફોરેસ્ટ નાકા નજીક મહારાષ્ટ્ર તરફ જતા માર્ગ પર નજર રાખી. ત્યાં એક યુવક અને એક યુવતી ચાલતા જોવા મળતા, પોલીસ ટીમે તેમને રોકી તપાસ કરી. મહિલા પોલીસ કોન્સ્ટેબલે યુવતીને અલગ રાખી પૂછપરછ કરતા તે અપહરણની ભોગ બનનાર સગીરા હોવાનું જાણવા મળ્યું. આરોપીની ઓળખ મેહુલભાઈ સદુભાઈ ભોયે (ઉંમર 19), રહે. કેળ ગામ, તા. સુબીર તરીકે થઈ હતી. પોલીસે સગીરાનું રેસ્ક્યુ કરી તેને કાઉન્સેલિંગ માટે સાથે લીધી હતી. આરોપીને કસ્ટડીમાં લઈને આગળની કાયદેસરની કાર્યવાહી માટે આહવા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરી PSI જે.જી. અનડકટના માર્ગદર્શન હેઠળ ASI પ્રમોદભાઈ નીવર, ASI રમેશભાઈ પવાર, હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ ગાંગુડા, દિલીપભાઈ ગામીત સહિત LCB ટીમના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આરોગ્યના સ્તરને ઊંચું લાવવા અને છેવાડાના નાગરિકો સુધી શ્રેષ્ઠ તબીબી સેવાઓ પહોંચાડવા માટે રાજ્ય સરકાર હવે એક્શન મોડમાં આવી છે. ગાંધીનગર ખાતે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની અધ્યક્ષતામાં મળેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં આદિવાસી જિલ્લાઓના આરોગ્યલક્ષી પડકારોના કાયમી નિવારણ માટે મહત્વનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. આ બેઠકમાં ખાસ કરીને માતા અને બાળકના સ્વાસ્થ્યને સુરક્ષિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. IMR અને MMR ઘટાડવા પર ભારઆદિવાસી પટ્ટામાં લાંબા સમયથી સતાવી રહેલા કુપોષણ, શિશુ મૃત્યુદર (IMR), માતા મૃત્યુદર (MMR) અને એનીમિયા જેવા ગંભીર જાહેર આરોગ્ય પડકારો આ બેઠકના કેન્દ્રસ્થાને રહ્યા હતા. પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દરેક નાગરિકને સર્વસમાવેશક આરોગ્ય સેવાઓ આપવા કટિબદ્ધ છે. મંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે આદિવાસી વિસ્તારોમાં સ્વાસ્થ્ય પરિણામો સુધારવા માટે માત્ર પરંપરાગત પદ્ધતિઓ જ નહીં, પરંતુ નવીન ટેકનોલોજી અને સમુદાય-કેન્દ્રિત વ્યૂહરચનાઓનો પણ બહોળો ઉપયોગ કરવામાં આવે. વૈશ્વિક અને સ્થાનિક સંસ્થાઓનો સહયોગઆદિવાસી વિસ્તારોમાં પરિવર્તન લાવવા માટે સરકાર હવે ખાનગી અને વૈશ્વિક સંસ્થાઓની નિષ્ણાત સેવાઓ પણ લેશે. આ બેઠકમાં SRK નોલેજ ફાઉન્ડેશન, ગેટ્સ ફાઉન્ડેશન અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ (IIPH), ગાંધીનગરના પ્રતિનિધિઓ સાથે મંત્રી દ્વારા ઊંડાણપૂર્વક પરામર્શ કરવામાં આવ્યો હતો. આ સંસ્થાઓએ આદિવાસી સમુદાયોના ઉત્થાન માટે ટેકનિકલ અને સંસાધનલક્ષી સહયોગ આપવાની ખાતરી આપી છે. આ સંયુક્ત પ્રયાસોથી આરોગ્ય માળખું વધુ વેગવંતુ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. ટેકનોલોજી અને નવી વ્યૂહરચનાથી આવશે બદલાવઆદિવાસી જિલ્લાઓના ભૌગોલિક પડકારોને ધ્યાનમાં રાખીને આરોગ્ય સેવાઓને ડિજિટલ માધ્યમો અને આધુનિક સાધનોથી સજ્જ કરવાની યોજના છે. પ્રફુલભાઈ પાનશેરીયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, સરકાર અને વિવિધ ફાઉન્ડેશનો વચ્ચેના આ મજબૂત જોડાણને કારણે આગામી સમયમાં ગુજરાતના આદિવાસી વિસ્તારોના આરોગ્ય ક્ષેત્રે હકારાત્મક અને ક્રાંતિકારી પરિવર્તન જોવા મળશે. આરોગ્ય માળખાને મજબૂત કરી મિશન મોડમાં કામગીરી કરી છેવાડાના માનવીને તંદુરસ્ત બનાવવાનું સરકારનું લક્ષ્ય છે.
નાગરિકોને ખોટા નામે ફોન કરીને લોન અપાવવાની લાલચ આપી અલગ અલગ બહાના હેઠળ પૈસા પડાવતા ગેરકાયદેસર કોલ સેન્ટર હવે સામાન્ય બાબત બની ગઈ છે. ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવવા માટે હવે મોટી ઓફિસો નહીં પરંતુ નાની ચાલી અને ઝુંપડા જેવા મકાનોમાં પણ કોલ સેન્ટરો શરૂ થઈ ગયા છે. ઝોન 5 એલસીબીની ટીમે શહેરના ખોખરા વિસ્તારમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા બે શખ્સોની ધરપકડ કરી છે. બંને આરોપીઓ ચાલીના મકાનમાં રહે છે અને ઘરે બેઠા તેઓ કોલ સેન્ટર ચલાવતા હતા. લોન આપવાના બહાને જુદા જુદા લાલચ અને વિશ્વાસ આપી છેતરપિંડી કરતા હતા. બંને આરોપી પાસેથી પોલીસે મોંઘા આઇફોન અને લેપટોપ સહિતનો 2.85 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે. ત્રણ આઈફોન સહિત ચાર મોબાઈલ મળી આવ્યાઝોન 5 ડીસીપીની એલસીબી સ્ક્વોડના PSI કે.કે જાડેજાને બાતમી મળી હતી કે ગેરકાયદે કોલસેન્ટર ચલાવતા શખ્સો ખોખરા લાલભાઈ સેન્ટર પાસેથી એકટીવા પર પસાર થવાના છે જેથી એલસીબી ની ટીમ દ્વારા વોચ ગોઠવવી અને બાતમી વાળા બંને શખ્સો આવતા જ તેને રોક્યા હતા. પોલીસે તેમના નામ પૂછતા ઉમેશ કલ્યાણ સુંદર ગવંડર (રહે. ચના શેઠની ચાલી) અને પ્રવીણ નાગરાજ અચારી (રહે. ભગવાનદાસ ની ચાલી, ભાઈપુરા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેમની તપાસ કરતા ત્રણ આઈફોન અને એક મોબાઇલ ફોન તેમજ લેપટોપ મળી આવ્યું હતું. જેમાં તપાસ કરતાં કોલ સેન્ટરનું સાહિત્ય મળી આવ્યું હતું. અમેરિકન નાગરિકોને ખોટા નામે ફોન કરી ખંખેરતા હતાપોલીસે બંનેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે પોતે ચાલીમાં એક નાના મકાનમાં રહે છે અને ઘરે બેસીને ગેરકાયદેસર પેડે પ્રોસેસમાં અમેરિકન નાગરિકોને ખોટા નામે કોલિંગ કરીને લોન આપવાની જુદી જુદી લાલચ તથા વિશ્વાસ આપતા હતા. જુદા જુદા વેરીફિકેશન પી લોન એગ્રીમેન્ટ ના નામે ડોલર લેવાનું જણાવી અને અમેરિકન નાગરિકો ડોલર ગિફ્ટ કાર્ડના સ્વરૂપે નંબર આપેલો હોય તે નંબરના આધારે આગળની પ્રોસેસ કરી અને પૈસા લઈ લેતા હતા. પેઇડ લીડ ઓનલાઈન મેળવતા હતા અને જે પૈસા નાગરિકો પાસેથી મેળવતા હતા તેને રૂરલ એન્ટરપ્રાઇઝ અને રાજાભાઈ નામના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી કમિશન આપી અને બાકીના પૈસા મેળવી લેતા હતા. બંને આરોપીઓ મૂળ દક્ષિણ ભારતના છે અને તેમને સારું અંગ્રેજી બોલતા આવડતું હોવાના કારણે તેઓ સારી રીતે લોકો સાથે વાતચીત કરી અને છેતરપિંડી કરતા હતા. આરોપી પ્રવીણ અગાઉ નોઈડા ખાતે કોલ સેન્ટરમાં કામ કરતો હતો. નોઈડા કોલ સેન્ટરમાં કામ કર્યા બાદ તેણે અમદાવાદમાં જાતે ઘરે બેઠા કોલ સેન્ટર શરૂ કર્યું હતું. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી મોંઘા આઇફોન, લેપટોપ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે.
IPL 2026: આઈપીએલના પહેલા તબક્કાનું શેડ્યુલ જાહેર, RCB અને SRH વચ્ચે પહેલો મુકાબલો
IPL Schedule Date Time Table: ICC T20 વર્લ્ડ વર્લ્ડ કપ 2026નું સમાપન ભારતની જીત સાથે થઈ ચૂક્યું છે. હવે દુનિયાની લોકપ્રિય લીગ આઈપીએલની શરૂઆત થવા જઈ રહી છે. જેની 19મી સીઝન 28મી માર્ચ 2026થી શરૂ થશે. ત્યારે આઈપીએલના પહેલા તબક્કાનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. RCB વિરૂદ્ધ હૈદરાબાદ મેચથી સીઝનની શરૂઆત થશે.
દુનિયા એક બેરલ ઓઈલના 200 ડૉલર ચૂકવવા તૈયાર રહે... યુદ્ધ વચ્ચે ઈરાનની ચેતવણી
Iran tells 'get ready for $200 a barrel': ઈરાનના સૈન્ય કમાન્ડરે 11 માર્ચના રોજ દુનિયાને ગંભીર ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો ખાડી વિસ્તારમાં અશાંતિ ચાલુ રહેશે તો ઓઈલના ભાવ $200 પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. અમેરિકા અને ઈઝરાયલના જોરદાર હુમલા વચ્ચે ઈરાન વળતો પ્રહાર કરીને દુનિયાભરમાં ઓઈલ સપ્લાય ખોરવી નાંખવાની ક્ષમતા ધરાવે છે. યુદ્ધ લંબાય તો ઓઈલ સપ્લાય પર ખતરો દુનિયાના કુલ ઓઈલ સપ્લાયનો પાંચમો ભાગ જ્યાંથી પસાર થાય છે તે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Strait of Hormuz) હાલ બંધ જેવી સ્થિતિમાં છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી હુમલા બંધ નહીં થાય ત્યાં સુધી તે અહીંથી ઓઈલ પસાર થવા દેશે નહીં.
મહીસાગર જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ સામે પોલીસની કાર્યવાહી ચાલુ છે. લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનાનો એક ફરાર આરોપી મહીસાગર પેરોલ ફર્લો શાખાની ટીમે વિરાણીયા ચોકડી પાસેથી ઝડપી પાડ્યો છે. મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા સૂચનાઓ અપાઈ હતી. આ સૂચનાના આધારે, પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઈ બી.પી. પટેલના નેતૃત્વ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાનો ફરાર આરોપી મન્કી કાશમ અબ્દુલ અઝીઝ (રહે. ગોધરા, પંચમહાલ) લુણાવાડા તાલુકાના વિરાણીયા ચોકડી પાસે આવવાનો છે. આ બાતમીના આધારે, 10 માર્ચ 2026ના રોજ પેરોલ ફર્લો શાખાની ટીમે વિરાણીયા ચોકડી વિસ્તારમાં વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બાતમીવાળો આરોપી મળી આવતા પોલીસે તેને દબોચી લીધો હતો. ઝડપાયેલા આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ભારત સરકાર દ્વારા વર્ષ 2027 માં વસ્તી ગણતરી કરવામાં આવનાર છે. જેને લઈને રાજકોટ વહીવટી તંત્ર સજ્જ છે. પ્રથમ તબક્કામાં 20 એપ્રિલથી 15 મે,2026 સુધી ઘર ગણતરી કરવામાં આવશે અને ત્યારબાદ 2027 માં 8 થી 28 ફેબ્રુઆરી સુધી જનગણના થશે. જેના માટે કલેકટરની અધ્યક્ષતામાં સર્કિટ હાઉસ ખાતે 2 દિવસીય ટ્રેનિંગ યોજાઈ હતી. જેમાં રાજકોટ જિલ્લાના 11 તાલુકાના મામલતદાર અને 6 નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના ચાર્જ અધિકારીઓને સઘન તાલીમ આપવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં તાલુકા મામલતદારો અને ચીફ ઓફિસરો પોતાના વિસ્તારમાં ચાર્જ અધિકારી તરીકે વસ્તી ગણતરીની કામગીરીનું નેતૃત્વ કરશે.તાલીમનો મુખ્ય ઉદ્દેશ ચાર્જ અધિકારીઓને વસ્તી ગણતરી સંબંધિત માર્ગદર્શિકા, પ્રક્રિયા, ડિજિટલ સિસ્ટમ તથા કામગીરીના વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત સમજ આપવાનો હતો. ચાર્જ અધિકારીઓની કામગીરીમાં વહીવટી એકમોની યોગ્ય રચના, ફીલ્ડ કર્મચારીઓની નિમણૂક, એન્યુમરેટર તથા સુપરવાઈઝરોને તાલીમ આપવાની વ્યવસ્થા તેમજ કોઈપણ છૂટછાટ વગર સંપૂર્ણ અને ચોક્કસ વસ્તી ગણતરી સુનિશ્ચિત કરવાના મુદ્દાઓનો સમાવેશ થાય છે. રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રમુખ વસ્તી ગણતરી અધિકારી તરીકે તથા નિવાસી અધિક કલેક્ટર જિલ્લા વસ્તી ગણતરી અધિકારી તરીકે સમગ્ર કામગીરી દરમિયાન રાજકોટ જિલ્લામાં વસ્તી ગણતરીની કામગીરી પર દેખરેખ અને નિયંત્રણ રાખશે. વસ્તી ગણતરી માટે જિલ્લા કક્ષાએ 2 માસ્ટર ટ્રેનર તથા તાલુકા અને નગરપાલિકા કક્ષાએ કુલ 41 ફીલ્ડ ટ્રેનરોની નિમણૂક કરવામાં આવી છે. આ તમામ ફીલ્ડ ટ્રેનરોને 20 માર્ચ 2026 પહેલાં તાલીમ પૂર્ણ કરાવવામાં આવશે. વસ્તી ગણતરીની કામગીરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કો હાઉસ લિસ્ટિંગ ઓપરેશન (HLO) તા.20 એપ્રિલ, 2026 થી 15 મે,2026 દરમિયાન યોજાશે. તે પહેલાં સેલ્ફ એન્યુમરેશન (SE) પ્રક્રિયા તા.5 એપ્રિલ, 2026 થી 16 એપ્રિલ, 2026 દરમિયાન હાથ ધરવામાં આવશે. જ્યારે બીજો તબક્કો એટલે કે પોપ્યુલેશન એન્યુમરેશન (PE) તા.8 ફેબ્રુઆરી, 2027 થી 28 ફેબ્રુઆરી, 2027 દરમિયાન યોજાશે.
આગામી રામનવમી, ચેટીચાંદ અને રમઝાન જેવા ધાર્મિક તહેવારો પૂર્વે ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ પોલીસ દ્વારા સોમનાથ અને પ્રભાસ પાટણ શહેરમાં સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તહેવારોના દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા શાંતિપૂર્ણ વાતાવરણ સુનિશ્ચિત કરવાના હેતુથી આ પગલું ભરવામાં આવ્યું છે. પ્રભાસ પાટણ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ આ પેટ્રોલિંગ યોજાયું હતું. પોલીસ અધિકારીઓ અને જવાનોની ટીમે સોમનાથ તેમજ પ્રભાસ પાટણ શહેરના મુખ્ય બજારો, વ્યસ્ત માર્ગો અને જાહેર સ્થળોએ ફરી વળી હતી. ખાસ કરીને ભીડભાડવાળા વિસ્તારો અને તહેવારો દરમિયાન લોકોની અવરજવર વધુ રહેતા સ્થળો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ ફૂટ પેટ્રોલિંગમાં મહિલા પીએસઆઇ રાઠોડ, પીએસઆઇ શક્તિસિંહ ઝાલા સહિતના અધિકારીઓ, સર્વેલન્સ સ્ટાફ, જીઆરડીના જવાનો, પોલીસ કર્મચારીઓ અને મહિલા પોલીસ સ્ટાફ જોડાયા હતા. પોલીસ ટીમે શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી લોકોમાં સુરક્ષાનો વિશ્વાસ મજબૂત કર્યો હતો. પોલીસ અધિકારીઓએ વેપારીઓ અને નાગરિકોને તહેવારો દરમિયાન શાંતિ અને સૌહાર્દ જાળવવા અપીલ કરી હતી. કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ કે અફવા અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ સૂચના આપવામાં આવી હતી. સોમનાથ વિસ્તારમાં ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ સજ્જ બનાવવામાં આવી રહી છે. પ્રભાસ પાટણ પોલીસ દ્વારા હાથ ધરાયેલા આ સઘન ફૂટ પેટ્રોલિંગથી શહેરમાં સુરક્ષાનો માહોલ મજબૂત બન્યો છે. આ કાર્યવાહી દર્શાવે છે કે પોલીસ તંત્ર તહેવારોને શાંતિપૂર્ણ રીતે ઉજવવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.
પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારીએ જિલ્લાના ગેસ વિતરકો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. વૈશ્વિક યુદ્ધની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે ગેસ ઉત્પાદન, પેકેજિંગ અને વિતરણ અંગે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ બેઠકમાં અધિકારીએ નવા નિયમોનું પાલન કરવા અને સામાન્ય નાગરિકોને ઘરેલું ગેસના પુરવઠામાં કોઈ મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં ગેસના સ્ટોક અને વિતરણની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવાનો હતો. યુદ્ધની સ્થિતિમાં ઘરેલું ગેસના પુરવઠાને અસર ન થાય તે માટે કડક પગલાં લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. સરકારની નવી માર્ગદર્શિકા મુજબ, હવેથી માત્ર હોસ્પિટલ અને શાળાઓ જેવી અનિવાર્ય સેવાઓ માટે જ કોમર્શિયલ ગેસ ફાળવવામાં આવશે. આ સિવાયના અન્ય વ્યાપારી એકમો માટે કોમર્શિયલ ગેસના વિતરણ પર હાલ પૂરતી રોક લગાવવામાં આવી છે. આ નિર્ણયની સીધી અસર જિલ્લાની 100 થી વધુ હોટલો, 300 જેટલી રેસ્ટોરન્ટ્સ, સ્થાનિક નાસ્તા હાઉસ અને અન્ય ખાદ્ય એકમો પર પડશે. કોમર્શિયલ ગેસ બંધ થવાથી આ તમામ વ્યાપારી એકમોની કામગીરી પર મોટી અસર પડવાની શક્યતા છે. જિલ્લામાં ગેસના સ્ટોકની જાળવણી અને વિતરણ વ્યવસ્થા પારદર્શી રહે તે માટે એક ખાસ 'મોનિટરિંગ કમિટી'ની રચના કરવામાં આવી છે. આ કમિટી સતત નિરીક્ષણ કરશે જેથી ક્યાંય પણ કાળાબજાર કે કૃત્રિમ અછત ઊભી ન થાય.
દમણ નગરપાલિકાએ મિલકત વેરો બાકી રાખનારા ડિફોલ્ટરો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા ત્રણ વર્ષથી વેરો ન ભરનારાઓની મિલકતો સીલ કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. નગરપાલિકા તંત્રના જણાવ્યા અનુસાર, સમગ્ર પાલિકા વિસ્તારમાં અંદાજે 7000થી વધુ કોમર્શિયલ અને રહેણાંક મિલકત ધારકોનો આશરે સાડા ત્રણથી ચાર કરોડ રૂપિયાનો વેરો બાકી છે. અગાઉ અનેક નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં યોગ્ય પ્રતિસાદ ન મળતાં આ કાર્યવાહી કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત આજે વહેલી સવારથી પાલિકાની ટીમોએ કોમ્બિંગ ઓપરેશન શરૂ કરીને 10થી વધુ કોમર્શિયલ મિલકતો સીલ કરી દીધી છે. આ કાર્યવાહીમાં શહેરના કેટલાક પ્રભાવશાળી લોકોની મિલકતો પણ સીલ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પાલિકાની આ કડક કાર્યવાહી બાદ બાકી વેરો ભરવા માટે લોકોમાં ઉતાવળ જોવા મળી રહી છે. પાલિકા કચેરીએ વેરો જમા કરાવવા માટે મિલકત ધારકોની ભારે ભીડ જોવા મળી રહી છે. તંત્રના જણાવ્યા મુજબ, હાલ માત્ર કોમર્શિયલ મિલકતો સામે સીલિંગ કાર્યવાહી કરવામાં આવી રહી છે. રહેણાંક મિલકત ધારકોને અંતિમ તક તરીકે વધુ એક નોટિસ આપવામાં આવશે. ત્યારબાદ પણ વેરો નહીં ભરાય તો તેમની મિલકતો સામે પણ સીલિંગ સહિતની કાર્યવાહી કરવામાં આવશે. નગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે દમણની બહાર રહેતા પરંતુ દમણમાં મિલકત ધરાવતા લોકો પણ આ કાર્યવાહીથી બચી શકશે નહીં. બાકી વેરો સંપૂર્ણ વસૂલ નહીં થાય ત્યાં સુધી આ સઘન અભિયાન ચાલુ રાખવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયા ફરી એક વખત વિવાદમાં આવી ગઈ છે. અગાઉ ચાર પોસ્ટ માટેની ભરતી પ્રક્રિયા મુલતવી રાખ્યા બાદ હવે સિનિયર ક્લાર્કની પોસ્ટની ભરતીને લઈને નવો વિવાદ ઉભો થયો છે. ભરતીની જાહેરાત બહાર પડ્યા બાદ જ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપો થયા છે. વય મર્યાદામાં કરવામાં આવેલા બદલાવને લઈને NSUIએ યુનિવર્સિટી પ્રશાસન સામે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે તેમજ સમગ્ર ભરતી પ્રક્રિયા રદ કરવાની માંગ કરવામાં આવી છે તેમજ જો ભરતી પ્રક્રિયા રદ નહીં કરાય તો NSUIએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. મળતિયાઓને સેટ કરવા ભરતી કરવામાં આવી રહી હોવાના NSUIના આક્ષેપગુજરાત યુનિવર્સિટી દ્વારા જ્યારથી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ત્યારથી જ વિવાદો શરૂ થઈ ગયા છે. મળતિયાઓને સેટ કરવા ભરતી કરવામાં આવી રહી હોવાના આક્ષેપ NSUI દ્વારા કરવામાં આવ્યા હતા. તેમજ કેટલી પોસ્ટ માટે માત્ર એક એક જ ઉમેદવાર માન્ય ગણવામાં આવતા વધારે વિવાદ સર્જાયો હતો. જો કે તે બાદ 4 જેટલી પોસ્ટ પરની ભરતી પ્રક્રિયા મુલતવી રાખવામાં આવી છે. જો કે હવે સિનિયર ક્લાર્કની પોસ્ટ માટે પણ મળતિયાઓને સેટ કરવા નિયમ બનાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ NSUI દ્વારા કરવામાં આવ્યો છે. મહિલાઓની વયમર્યાદામાં રાતોરાત ફેરફાર કર્યા હોવાનો આક્ષેપસિનિયર ક્લાર્કની પોસ્ટ માટે અગાઉ નિયમોનું એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ, તેમાં રાતોરાત ફેરફાર કરવામાં આવ્યો હોવાનો NSUI દ્વારા દાવો કરવામાં આવ્યો છે. સિનિયર ક્લાર્કની પોસ્ટ માટે ભરતી જાહેર કરી ત્યારે ઉમેદવારો માટે વય મર્યાદા 40 વર્ષ નક્કી કરવામાં આવી હતી પરંતુ, ભરતીની જાહેરાત બહાર પડ્યા બાદ જ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જનરલ કેટેગરીની મહિલાઓ માટે વય મર્યાદામાં પાંચ વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ 40 વર્ષ સુધી મર્યાદિત વય હવે વધારીને 45 વર્ષ સુધી કરી દેવામાં આવી છે. આ બદલાવ રાતોરાત કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તેમજ સગા સંબંધીઓને સેટ કરવા માટે નિયમ બદલ્યા હોવાનો પણ NSUI એ દાવો કર્યો છે. જેથી સમગ્ર ભરતી પ્રક્રિયા રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે. સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા રદ નહીં કરાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશેNSUIના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતી યુનિવર્સિટી દ્વારા જ્યારે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે એવું લાગી રહ્યું હતું કે, ખાસ લોકો માટે ખાસ ભરતી કરવામાં આવી રહી છે એટલે કે મળતીયાઓ માટે કે તેમના સગા વહાલાઓ માટે કે પછી RSS અને ભાજપ સાથે જોડાયેલા લોકો માટે આ ભરતી કરવામાં આવી રહી છે. જ્યારે વિરોધ કરવામાં આવ્યો કે, ઉચ્ચ શિક્ષણ મેળવીને જે ડિગ્રી લે છે એવા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે. જેથી, તે બાદ 4 જેટલી પોસ્ટ માટેની ભરતી મૌકૂફ રાખવામાં આવી છે. જેથી સંપૂર્ણ ભરતી પ્રક્રિયા શંકાના દાયરામાં હોવાનું સામે આવી રહ્યું છે. જો સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા રદ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આગામી દિવસમાં આ લોકોના નામની પણ જાહેરાત કરવામાં આવશેવધુમાં ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, સિનિયર ક્લાર્કની ભરતી પ્રક્રિયામાં પણ ગોલમાલ કરવામાં આવી છે. સિનિયર ક્લાર્કની ભરતી પ્રક્રિયામાં 4 વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવી હતી પરંતુ, રાતોરાત તેના નિયમ બદલવામાં આવે છે. જે બાદ જનરલ કેટેગરીની મહિલાઓ માટે 5 વર્ષની વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવે છે. રાતોરાત કે નિયમ બદલવામ આવ્યા છે તેના માટે થઈ રહ્યા છે, કોના પરિવારને લોકોને સેટ કરવા માટે થઈ રહ્યા છે તેમજ કયા અધિકારીના માનીતાને સેટ કરવા માટે થઈ રહ્યું છે તપાસનો વિષય છે તેમજ આગામી દિવસમાં આ લોકોના નામની પણ જાહેરાત કરવામાં આવશે.
વડોદરા મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોની ટર્મ પૂર્ણ થયા આજરોજ વહીવટદારે ચાર્જ સંભાળ્યો હતો. જ્યાં સુધી પાલિકાનું નવું બોર્ડ નહીં બને ત્યાં સુધી હવે વહીવટદાર ચાર્જ સંભાળશે. મ્યુનિસિપલ કમિશનર અને સેક્રેટરીએ સ્વાગત કર્યુંવહીવટદાર શાલિની અગ્રવાલ આજે સાંજે મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા. GUVNLના એમડી શાલિની અગ્રવાલ અગાઉ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર રહી ચૂક્યા છે. ત્યારે આજે તેઓએ વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને સભા સેક્રેટરી ચિંતન દેસાઈએ તેઓનું સ્વાગત કર્યું હતું. રજાના દિવસે ચાર્જ સંભાળ્યોવડોદરા મહાનગરપાલિકામાં આજે સર સયાજીરાવ ગાયકવાડની જન્મ જયંતી નિમિત્તે રજા હતી. રજાના દિવસે શાલિની અગ્રવાલ સાંજે ચાર્જ લેવા પહોંચ્યા હતા. જેથી મેયરની કેબિન ખોલવામાં આવી હતી અને તેઓએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. હવેથી પાલિકાના તમામ નિર્ણયો વહીવટદાર દ્વારા લેવામાં આવશે. 9 માર્ચે ટર્મ પૂર્ણ થઈ હતીવડોદરા મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોની ટર્મ 9 માર્ચના રોજ રાતે 12 કલાકે પૂર્ણ થઈ હતી. ત્યાર બાદ બીજા દિવસે પદાધિકારીઓની તમામ ઓફિસને તાળા મારી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત તમામ પદાધિકારીઓની ગાડીઓ પણ જમા કરાવવામાં આવી હતી. હવે સૌ કોઈ મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાતની રાહ જોઈ રહ્યું છે.
તાપી જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેક્ટર આર. આર. બોરડના અધ્યક્ષસ્થાને 'મિશન શક્તિ' યોજના અંતર્ગત જિલ્લા ટાસ્ક ફોર્સ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં મહિલાઓના સશક્તિકરણ, સુરક્ષા અને સ્વાવલંબન માટે ચાલી રહેલી વિવિધ યોજનાઓનું અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરવાનો હતો. બેઠક દરમિયાન, નિવાસી અધિક કલેક્ટર આર. આર. બોરડે વ્હાલી દીકરી યોજના, બેટી બચાવો-બેટી પઢાવો એક્ટિવિટી કેલેન્ડર અને તેની કામગીરીની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત, ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન (DHEW)ની કામગીરી, સખી વન સ્ટોપ સેન્ટર, 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાર્યોની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારી સુલોચનાબેન પટેલે મહિલાલક્ષી વિવિધ યોજનાઓ, સહાય, વર્તમાન કામગીરી અને ભાવિ આયોજન અંગેનો વિસ્તૃત અહેવાલ બોરડ સમક્ષ રજૂ કર્યો હતો. તેમની કામગીરીને બિરદાવીને, આર. આર. બોરડે સતત અને સક્રિયપણે કામગીરીમાં ગુણાત્મક સુધારો લાવવા પ્રોત્સાહિત કર્યા હતા અને કેટલાક રચનાત્મક સૂચનો પણ આપ્યા હતા.
બગવદર પોલીસે બાવળવાવ કેનાલ કાંઠેથી દારૂ ઝડપ્યો:96 બોટલ વિદેશી દારૂ, કિંમત ₹96,000 જપ્ત કરાઈ
પોરબંદર જિલ્લાના બગવદર પોલીસે બાવળવાવ કેનાલ કાંઠેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે બાવળવાવ ગામના સિંહજરનેસ કેનાલ કાંઠે દરોડો પાડી આરોપી બાવન કાનાભાઈ કટારા (ઉ.વ. ૨૭, રહે. બાવળવાવ સિંહજરનેસ, પોરબંદર) ને જાહેરમાંથી ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ કંપનીની ૭૫૦ એમ.એલ.ની કુલ ૯૬ સીલપેક બોટલો મળી આવી હતી. આ દારૂના જથ્થાની અંદાજિત કિંમત રૂપિયા ૯૬,૦૦૦ આંકવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ વિદેશી દારૂનો જથ્થો આરોપી પરબત ઉર્ફે રાણા જીવણ મોરી (રહે. ધ્રામણીનેસ રાણપર ગામ, તા. ભાણવડ, જી. દેવભૂમી દ્વારકા) દ્વારા વેચાણ માટે આપવામાં આવ્યો હતો. આ રીતે બંને આરોપીઓએ ગેરકાયદેસર દારૂના વેપારમાં એકબીજાને મદદગારી કરી હોવાનું પોલીસ તપાસમાં જણાયું છે. આ બનાવ અંગે બગવદર પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(ઇ), ૧૧૬(બી) અને ૮૧ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સાયબર ગઠિયાઓ રોજ-રોજ અલગ-અલગ બહાને લોકોને ઠગી રહ્યા છે ત્યારે અમદાવાદના વધુ એક વૃદ્ધ મહિલાએ ગઠિયાઓએ LICના લાખો રૂપિયા આપવાના બહાને અલગ-અલગ ચાર્જ ગણી 47.35 લાખ ટુકડે ટુકડે પડાવ્યા છે.મહિલાને LICની પણ કોઈ રકમ પરત આપવામાં આવી નથી જેથી મહિલાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. LICના 10 લાખ જમા પડ્યા છે, તે પરત જોઈતા હોય તો કેસ લડવો પડશેઘાટલોડિયામાં રહેતા 73 વર્ષે વૃદ્ધ મહિલા નિવૃત્ત જીવન ગુજારે છે. મહિલાના ત્રણેય સંતાનો પરિવાર સાથે અલગ રહે છે. 28 એપ્રિલ, 2022ના રોજ મહિલાને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે પોતાની ઓળખ NCPIના સિનિયર ઓફિસર તરીકે આપીને મહિલાને કહ્યું હતું કે, તમારા LICના 10લાખ જમા પડ્યા છે, તમારે તે પરત જોઈતા હોય તો તમારે કેસ લડવો પડશે.જે કેસ લડવા માટે શરૂઆતમાં 2 લાખ રૂપિયા માંગ્યા હતા. અલગ-અલગ ફીના બહાને મહિલા પાસેથી લાખો રૂપિયા પડાવ્યાજે બાદ મહિલાને અલગ-અલગ ફીના નામે ટુકડે-ટુકડે લાખોની રકમ પડાવવામાં આવી હતી.મહિલાની 10 લાખની LICની રકમની જગ્યાએ કુલ 1.48 કરોડ રૂપિયા હોવાનું કહીને તે પરત લેવા હોય તો અલગ અલગ ફીના બહાને મહિલા પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. સાઇબર ક્રાઈમે મહિલા પાસેથી કુલ 47.35 લાખ રૂપિયા પડાવ્યા હતા અને મહિલાને કોઈ રકમ પરત આપી ન્હોતી. મહિલાએ આ અંગે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી ટેક્નિકલ સર્વેલન્સથી તપાસ શરૂ કરીઅન્ય કિસ્સામાં મુળ રાજકોટની 34 વર્ષીય યુવતી શેલામાં રહે છે.ગત તા.15 જાન્યુઆરીએ તેના એસબીઆઇ બેંક ખાતામાંથી રૂ. 3690 ડેબિટ થયાનો મેસેજ આવ્યો હતો. જે બાદ તેને થોડા થોડા દિવસોના અંતરે 15 હજાર, 9240 જેવી નાની રકમ ડેબિટ થયાનો મેસેજ આવતો હતો. એસબીઆઇ બેંકમાંથી ગઠિયાઓએ નાણાં સેરવી લીધા બાદ અન્ય બેંક એકાઉન્ટમાંથી પણ યુવતીને નાણાં ડેબિટ થયાનો મેસેજ આવતો હતો. યુવતીએ બંને બેંક એકાઉન્ટનો પાસવર્ડ, લિંક કે ઓટીપી શેર ન કર્યો હોવા છતાંય ગઠિયાઓએ માત્ર 46 દિવસમાં 19 ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂ. 8.05 લાખ ડેબિટ કરી લીધા હતા. જેથી યુવતીએ સાયબર હેલ્પલાઇનમાં જાણ કર્યા બાદ બોપલ પોલીસે આ મામલે ગુનો નોંધી ટેકનિકલ સર્વેલન્સથી તપાસ શરૂ કરી છે.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા તેમજ રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ભાવનગર રેલવે ટર્મિનસથી રાજધાની દિલ્હીને સીધી જોડતી ટ્રેન સેવા શરૂ કરવાની મજબૂત માંગ ઉઠાવી છે. તેમણે આ મુદ્દો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને પણ રજૂ કર્યો છે, જેમાં ભાવનગરની રેલ કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા પર ભાર મૂક્યો છે. ભાવનગરથી દિલ્હી માટે કોઈ સીધી ટ્રેન સેવા ઉપલબ્ધ નથીશક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, હાલમાં ભાવનગરથી દિલ્હી માટે કોઈ સીધી ટ્રેન સેવા ઉપલબ્ધ નથી. ભાવનગર એરપોર્ટ પણ લગભગ બંધ સમાન છે અને એર કનેક્ટિવિટીનો અભાવ છે. આ સ્થિતિમાં ભાવનગર જિલ્લાના લોકોને રાજધાની સુધી પહોંચવા માટે મુશ્કેલી પડે છે. દિલ્હી સાથે સીધી રેલ કનેક્ટિવિટી યાત્રાળુઓ અને વેપારીઓ માટે ફાયદાકારક તેમણે વધુમાં ઉલ્લેખ કર્યો કે, ભાવનગર જિલ્લો ઔદ્યોગિક અને તીર્થાટનની દૃષ્ટિએ મહત્વપૂર્ણ છે. વિશ્વવિખ્યાત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ (એશિયાનું સૌથી મોટું) અહીં આવેલું છે. ઉપરાંત જૈન ધર્મના અનુયાયીઓ માટે અત્યંત પવિત્ર તીર્થધામ પાલીતાણા (શેટ્રુંજય પર્વત) સહિત સૌરાષ્ટ્રના અનેક મોટા તીર્થસ્થાનો ભાવનગર જિલ્લામાં છે. આવા કારણોસર દિલ્હી સાથે સીધી રેલ કનેક્ટિવિટી યાત્રાળુઓ અને વેપારીઓ માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ભાવનગરથી અયોધ્યા વચ્ચે ચાલતી સાપ્તાહિક ટ્રેન અઠવાડિયામાં માત્ર બે દિવસ દોડે છેગોહિલે એક વ્યવહારુ સૂચન પણ આપ્યું છે કે,હાલમાં ભાવનગરથી અયોધ્યા વચ્ચે ચાલતી સાપ્તાહિક ટ્રેન (19201/19202) અઠવાડિયામાં માત્ર બે દિવસ દોડે છે અને બાકીના ચાર દિવસ તેની રેક (ટ્રેનની બોગીઓ) ભાવનગર ટર્મિનસ પર ફાજલ પડી રહે છે. આ રેકનો ઉપયોગ કરીને ભાવનગરથી દિલ્હી (શાકુરબસ્તી અથવા અન્ય દિલ્હી સ્ટેશન) સુધી સાપ્તાહિક ટ્રેન શરૂ કરી શકાય છે. આનાથી રેસોર્સનો સારો ઉપયોગ થશે અને નવી ટ્રેન શરૂ કરવાની જરૂર પડશે નહીં. સ્થાનિક ટ્રેનોમાં પણ સુધારાની માંગ કરી શક્તિસિંહ ગોહિલે ભાવનગરને પશ્ચિમ રેલવેનું ડિવિઝનલ હેડક્વાર્ટર હોવા છતાં સીધી દિલ્હી કનેક્ટિવિટીના અભાવ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે રેલવે વિભાગને તાત્કાલિક પગલાં લેવા અને સ્થાનિક ટ્રેનોમાં પણ સુધારા (જેમ કે લોકલ ટ્રેનોને એક્સપ્રેસમાં રૂપાંતરિત કરવા અને AC ચેર કાર ઉમેરવા)ની માંગ કરી છે. આ માંગણીથી ભાવનગર અને સૌરાષ્ટ્રના લોકોમાં આશા જાગી છે કે રેલવે મંત્રાલય આ મુદ્દાને ગંભીરતાથી લઈને ઝડપથી સીધી ટ્રેન સેવા શરૂ કરશે.
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-પાટડી હાઈવે પર સાવડા ગામના બોર્ડ પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. એલ.સી.બી. ટીમે એક સુઝુકી કેરી લોડિંગ વાહનમાંથી ₹11.10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા સુરેન્દ્રનગરમાં પ્રોહીબિશન અને જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા હતા. આ અંતર્ગત, જિલ્લામાંથી પસાર થતા હાઈવે રોડ પર ચોરી-છૂપીથી દારૂ ઘુસાડવાના પ્રયાસોને રોકવા માટે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.જાડેજાને સૂચનાઓ અપાઈ હતી. આ સૂચનાના આધારે, એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય.પઠાણ અને પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ.રાયમાના નેતૃત્વ હેઠળ ટીમો બનાવવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે, સાવડા ગામના બોર્ડ પાસે આવેલી હોટલ મેપલ ઇન સામેથી આ વાહનને રોકવામાં આવ્યું હતું. વાહનની તલાશી લેતા તેમાંથી ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂની 1992 બોટલો (કિંમત ₹5,16,000) અને 408 બિયર ટીન (કિંમત ₹89,760) મળી આવ્યા હતા. કુલ ₹6,05,760નો પ્રોહીબિશન મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ ઉપરાંત, ₹5,00,000ની કિંમતનું સુઝુકી કેરી લોડિંગ વાહન (રજી.નં. GJ.05.CU.7616) અને ₹5,000નો એક મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહીમાં કુલ ₹11,10,760નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે વાહનચાલક વિષ્ણુભાઈ નરસંગભાઈ ઠાકોર (રહે. દાદકા, તા. સમી, જિ. પાટણ)ની ધરપકડ કરી હતી. આ કેસમાં અમૃતભાઈ ઠાકોર (રહે. થરાદ), વાહનના માલિક અને દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા ઇસમ સહિત અન્ય આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પાટડી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સફળ કામગીરીમાં એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય.પઠાણ, પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ.રાયમા, એ.એસ.આઈ. અસલમખામ મલેક, પો.હેડ.કોન્સ. યશપાલસિંહ રાઠોડ, પો.હેડ કોન્સ. દશરથભાઈ ઘાંઘર, પો.કોન્સ. મેહુલભાઈ મકવાણા, પો.કોન્સ. સંજયભાઈ પાઠક અને પો.હેડ કોન્સ. યુવરાજસિંહ વાઘેલા સહિતના સ્ટાફનો સમાવેશ થાય છે.
ભાવનગર સ્થિત સીએસઆઈઆર–સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મેરિન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSIR–CSMCRI) ખાતે બુધવાર, 11 માર્ચ 2026 ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા સશક્તિકરણ, સુરક્ષા અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. દીપ પ્રજ્વલન સાથે કાર્યક્રમનો પ્રારંભ કરતા સંસ્થાના નિર્દેશક ડૉ. અરૂપ ઘોષે જણાવ્યું હતું કે, વિજ્ઞાનના ઉત્કર્ષમાં મહિલાઓનું યોગદાન પાયાનું છે. તેમણે દરેક મહિલાને સન્માનજનક અને સમાવેશક કાર્યસ્થળ મળી રહે તે બાબત પર વિશેષ ભાર મૂક્યો હતો. સુરક્ષા અને કાયદાકીય જાગૃતિમહિલાઓની કાર્યસ્થળ પર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ડૉ. સુબર્ણા માઈતી દ્વારા વિશેષ વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. તેમણે ‘POSH Act’ (મહિલાઓના યૌન ઉત્પીડન નિવારણ અધિનિયમ) ના વિવિધ પ્રાવધાનો વિશે ઝીણવટભરી માહિતી આપી હતી. આ સત્રનો હેતુ મહિલાઓને તેમના કાયદાકીય અધિકારોથી અવગત કરાવી સુરક્ષિત કાર્ય પર્યાવરણ પૂરું પાડવાનો હતો. જીવનરક્ષક CPR અને સાંસ્કૃતિક સંગમઆરોગ્ય અને કટોકટીના સમયે સાવચેતીના ભાગરૂપે ડૉ. સેજલ ચૌહાણ દ્વારા કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન (CPR) અંગે પ્રાયોગિક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આપાતકાલીન સ્થિતિમાં કઈ રીતે જીવન બચાવી શકાય તેની પદ્ધતિઓ ઉપસ્થિત સૌએ શીખી હતી. કાર્યક્રમના અંતે Acsir વિજ્ઞાન ક્લબના વિદ્યાર્થીઓએ શાનદાર સાંસ્કૃતિક પ્રસ્તુતિ કરી હતી, જેમાં વિજ્ઞાન અને સમાજમાં નારીના સંઘર્ષ અને તેની સફળતાની ગાથાને કલાત્મક રીતે રજૂ કરવામાં આવી હતી.
જંબુસર ખાતે મુખ્યમંત્રી મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત પાણી સમિતિની મહિલા સભ્યો માટે જાગૃતિ કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યશાળામાં પાણી અને સ્વચ્છતા, મહિલા અધિકાર અને સ્વરોજગારી વિષય પર માર્ગદર્શન અપાયું હતું. આ પ્રસંગે જંબુસર તાલુકાની 18 ગ્રામ પંચાયતોને પાણી વેરા પ્રોત્સાહન યોજના હેઠળ કુલ ₹15.19 લાખના પેમેન્ટ ઓર્ડર અને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2025-2026 માટે આયોજિત આ કાર્યક્રમમાં તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોની મહિલા સભ્યોએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત વાસ્મો (WASMO)ના ડેપ્યુટી મેનેજર હેમેન્દ્રભાઈએ મહેમાનોનું સ્વાગત કરીને કરી હતી. તેમણે કાર્યક્રમના ઉદ્દેશ્ય અને પાણી વ્યવસ્થાપનમાં મહિલાઓની ભૂમિકા વિશે માહિતી આપી હતી. કાર્યક્રમ દરમિયાન, વાસ્મો, ભરૂચના જિલ્લા કોઓર્ડિનેટર કમલેશ આર. સિંધાએ મહિલા સશક્તિકરણ અને પાણી સમિતિમાં મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા પર માર્ગદર્શન આપ્યું હતું. અતાપી સેવા ફાઉન્ડેશન, જંબુસરના પ્રોગ્રામ મેનેજર શબનમ કુરેશી અને પ્રોજેક્ટ હેડ રાહુલભાઈએ મહિલાઓને સરકારની વિવિધ સ્વરોજગારી યોજનાઓ અને સ્વસહાય જૂથોની કામગીરી વિશે જાણકારી આપી હતી. આ ઉપરાંત, નારી અદાલતના કો-ઓર્ડિનેટર કાશ્મીરાબેને મહિલાઓના અધિકારો અને વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી આપી બહેનોને જાગૃત કર્યા હતા. પાણી અને સ્વચ્છતા ક્ષેત્રે મહિલાઓની મહત્વપૂર્ણ જવાબદારીઓ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જંબુસર તાલુકા વિકાસ અધિકારી નિરજન પ્રજાપતિ અને વાસ્મોના યુનિટ મેનેજર એચ.બી. કટુડીયાએ મહિલાઓને સશક્ત બની પાણી વ્યવસ્થાપન અને ગામના વિકાસમાં સક્રિય ભાગ લેવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે, તાલીમાર્થી બહેનોએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
રાણાવાવ તાલુકાના ભોદ ગામના જંગલ વિસ્તારમાં આજે વહેલી સવારથી ભીષણ આગ ફાટી નીકળી છે. આ આગ છેલ્લા આઠ કલાકથી અનિયંત્રિત છે, જેના કારણે વનરાજીને મોટું નુકસાન થયું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે, પરંતુ તે પવનના કારણે ઝડપથી પ્રસરી રહી છે. સવારે જંગલમાંથી ધુમાડાના ગોટેગોટા દેખાતા સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. છેલ્લા આઠ કલાકથી ફાયર ફાઈટરો આગ પર કાબૂ મેળવવાના અથાક પ્રયાસો કરી રહ્યા છે. જોકે, પહાડી અને જંગલ વિસ્તાર હોવાથી ફાયર બ્રિગેડની ટીમને કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પોરબંદરના ફાયર અધિકારી અભય મહેતાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, “અમારી ટીમ સવારથી જ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગને કાબૂમાં લેવા માટે સતત વોટર કેનનનો ઉપયોગ કરી રહી છે. જંગલી વિસ્તાર હોવાથી સાવચેતી સાથે કામગીરી કરવામાં આવી રહી છે અને હાલ આગ પર નિયંત્રણ મેળવવાના પૂરા પ્રયાસો ચાલુ છે.” આ આગને કારણે વનસ્પતિ અને વન્યજીવોને જોખમ ઊભું થયું છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. આ ઉપરાંત પોરબંદર ફાયર વિભાગના 2 ફાયર બાઉઝર ફાયર ફાઈટીંગની કામગીરી ચાલુ કરેલ છે, તથા હાથી સિમેન્ટ અને ધોરાજી ફાયર વિભાગના બાઉઝર તથા જૂનાગઢ મહાનગરપાલિકા ફાયર બાઉઝર મદદે આવેલા છે. બીજી તરફ આજે ઇન્દિરાનગર મહાકાળી મંદિર પાસે અને રતનપર રોડ પરની ઝુરીમાં પણ આગ લાગ્યાનો બનાવ સામે આવ્યો છે. જે બાદ ફાયર વિભાગના 2 મિનિ ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી કામગીરી શરૂ કરવામાં આવી છે.
વૈશ્વિક સ્થિતિને ધ્યાને રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એસ્મા લાગુ કરાયાના પગલે કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ આજે ગેસઉત્પાદકો, વિતરકો ઉપરાંત મામલતદારો સાથે બેઠક યોજી પુરવઠાનો તાગ મેળવ્યો હતો. આ બેઠકો બાદ કલેક્ટરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, વડોદરા શહેર અને જિલ્લામાં ઘરેલું ગેસના ગ્રાહકોએ કોઇ ચિંતા કરવાની જરૂર નથી. ગેસનો પૂરવઠો યોગ્ય માત્રામાં છે. તેમણે કાળાબજારી, સંગ્રહખોરી કરતા તત્વોને ડામવા માટે ટીમોનું ગઠન કરવાની પણ સૂચના જારી કરી છે. કલેક્ટર અને પુરવઠા અધિકારી દ્વારા બે મહત્વની બેઠકકલેક્ટર ડો. અનિલ ધામેલિયા, જિલ્લા પુરવઠા અધિકારી ગીતા દેસાઇ દ્વારા આજે બે મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. જેમાં આઇઓસીએલ, બીપીસીએલ, એચપીસીએલના અધિકારીઓ, મામલતદારો સાથે તબક્કાવાર બેઠક યોજીને સ્થિતિનો ક્યાસ કાઢવામાં આવ્યો હતો. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા તાજેતરમાં વિવિધ સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ સૂચનાઓના અનુસંધાનમાં રાજ્ય સરકાર દ્વારા પણ જરૂરી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. એલપીજી, પીએનજી અને સીએનજી પુરવઠા અંગે વિવિધ સ્તરે સૂચનાઓ આપવામાં આવી રહી છે, ત્યારે એલપીજી અંગે ખાસ કરીને કેટલીક જગ્યાએ ગેરમાહિતી ફેલાતી હોવાની બાબત ધ્યાનમાં આવી છે. જિલ્લામાં એલપીજીનો પૂરતો સ્ટોક ઉપલબ્ધબેઠકમાં કલેક્ટરે જણાવ્યું હતું કે હાલમાં જિલ્લામાં એલપીજીનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને પુરવઠા અંગે કોઈ તંગી નથી. ઘરેલુ વપરાશકર્તાઓને પ્રાથમિકતા આપવામાં આવશે અને દરેક ગ્રાહકને લગભગ 25 દિવસના અંતરાલે સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગ્રાહકોએ ગેસ સિલિન્ડર માટે ઓનલાઈન નોંધણી કરાવવી જરૂરી રહેશે. કાળાબજારી ન થાય તેના ઉપર ખાસ ધ્યાનજિલ્લામાં LPG વિતરણ માટે કાર્યરત 52 એજન્સીઓ સાથે પણ બેઠક યોજીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. કોઈપણ જગ્યાએ કાળાબજારી ન થાય, જથ્થો ડાયવર્ટ ન થાય અને નિયમોનું પાલન થાય તેની ખાતરી કરવા તંત્ર દ્વારા કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. જિલ્લાના મામલતદાર કક્ષાએ ટીમો રચવામાં આવી છે, જે સતત ફિલ્ડ સ્તરે મોનિટરિંગ કરશે. જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પણ સ્ટોક પોઝિશન અંગે નિયમિત સમીક્ષા કરવામાં આવી રહી છે. ક્યાંય પણ ગેરરીતિ, ડાયવર્ઝન અથવા બ્લેક માર્કેટિંગની ઘટના સામે આવશે તો સંબંધિત કાયદાઓ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. કોમર્શિયલમાં પ્રાથમિકતા નક્કી કરી સપ્લાય કરાશેવધુમાં, કોમર્શિયલ ઉપયોગ માટે ઉપલબ્ધ જથ્થો મર્યાદિત હોવાથી તેની અંદર પણ પ્રાથમિકતાઓ નક્કી કરીને સપ્લાય સુનિશ્ચિત કરવામાં આવશે. કલેક્ટરે જણાવ્યું હતું કે હાલમાં ઘરેલુ વપરાશ માટે એલપીજી પુરવઠા અંગે કોઈ ચિંતાજનક પરિસ્થિતિ નથી અને કોઈપણ ગ્રાહકે ગભરાવાની જરૂર નથી. સમગ્ર જિલ્લામાં પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે અને સંબંધિત તમામ વિભાગો સતત સતર્ક રહી કામગીરી કરી રહ્યા છે. વડોદરા જિલ્લામાં 5.44 લાખ ઘરેલું કનેક્શનવડોદરા શહેર અને જિલ્લામાં હાલ કુલ મળી 5.44 લાખ જેટલા ઘરેલું ગેસ કનેક્શન અને 12 હજાર જેટલા વાણિજ્ય હેતુના ગેસ કનેક્શન ધારકો છે. હાલમાં આઇઓસીએલ દ્વારા 6 હજાર, એસપીસીએલ દ્વારા પાંચ હજાર અને બીપીસીએલ દ્વારા 3700 જેટલા સિલિન્ડર ફિલિંગ કરવામાં આવે છે. સામાન્ય દિવસોમાં પ્રતિદિન એકંદરે 8 હજાર જેટલા બૂકિંગ આવે છે. તેની સામે પ્રતિદિન ત્રણેય કંપની દ્વારા 14700 બોટલ રિફિલ કરવામાં આવે છે. મતલબ કે, માંગની સામે ફિલિંગની ક્ષમતા વધુ છે. હવે બજારમાં ખોટી માહિતી ફેલાવાના કારણે છેલ્લા કેટલાક દિવસોમાં બૂકિંગની સંખ્યા વધીને 12 હજાર જેટલી થઇ ગઇ છે. એટલે, આ બાબતને ધ્યાને રાખી કોઇ ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી.
19 વર્ષથી ફરાર કાલાવડના ડબલ મર્ડર-લૂંટનો આરોપી ઝડપાયો:જમસેદ મેવને હરિયાણાના ગુરુગ્રામથી LCBએ દબોચ્યો
જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ 19 વર્ષથી ફરાર ડબલ મર્ડર અને લૂંટના આરોપીને હરિયાણાના ગુરુગ્રામથી ઝડપી પાડ્યો છે. કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામની સીમમાં2007માં આ ગુનો બન્યો હતો. ઘટના 14 જાન્યુઆરી, 2007ના રોજ બની હતી. મોટા વડાળા ગામના ધનજીભાઈ નંદાણીયાએ ફરિયાદ નોંધાવી હતી કે તેમના ભત્રીજા ભીખાભાઈ ગોરધનભાઈ અને વિઠ્ઠલભાઈ ગોવિંદભાઈ નંદાણીયા પોતાનું જેસીબી લઈને પાતા મેઘપર ગયા હતા. ત્યાં જેસીબી ઓપરેટર તરીકે કામ કરતા હરિયાણાના ઇરશાદ દિનમહમદ મેવ અને જમસેદ દિનમહમદ મેવ નામના બે ભાઈઓ સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ ઝઘડામાં બંને આરોપીઓએ ભીખાભાઈ અને વિઠ્ઠલભાઈની હત્યા કરી હતી. હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે આરોપીઓએ જેસીબીનો ઉપયોગ કરીને ખાડો ખોદી બંને મૃતદેહોને જમીનમાં દાટી દીધા હતા. ત્યારબાદ તેઓ જેસીબીની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ ગુનામાં એક આરોપી ઇરશાદ મેવ 2007માં જ પકડાઈ ગયો હતો, પરંતુ બીજો આરોપી જમસેદ દિનમહમદ મેવ (ઉંમર ૫૨) છેલ્લા 19 વર્ષથી પોલીસને થાપ આપી ફરાર હતો. તે સતત પોતાના રહેઠાણ અને ઓળખ બદલીને ધરપકડ ટાળી રહ્યો હતો. જામનગર LCBની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસની મદદથી ચોક્કસ બાતમી મેળવી હતી કે આરોપી હરિયાણામાં છુપાયેલો છે. PSI એમ.વી. ભાટીયા, ASI નાનજીભાઈ પટેલ, યુવરાજસિંહ ઝાલા, રૂષિરાજસિંહ વાળા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાની ટીમે હરિયાણાના ગુરુગ્રામ ખાતે ધામા નાખ્યા હતા. ગુરુગ્રામના કલીચોક ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ રોડ પરથી આરોપી જમસેદને દબોચી લેવામાં આવ્યો હતો. હાલ આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે કાલાવડ ટાઉન પોલીસને સોંપવામાં આવ્યો છે. આ સફળ કામગીરી PI વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ PSI સી.એમ. કાંટેલીયા, PSI એમ.વી. ભાટીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ સહિતના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકોટમાં આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની ફોર્મ ભરવાની પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં કોર્પોરેશનની ચૂંટણી માટે એક વોર્ડ દીઠ 20 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 10થી 15મી માર્ચ સુધી અલગ અલગ જિલ્લાઓ અને લોકસભા વિસ્તારોમાં આમ આદમી પાર્ટીની સ્ક્રુટિની કમિટીઓ બેઠકો કરશે. જે પછી 20 માર્ચ બાદ તમામ સીટો પરના ઉમેદવારો જાહેર કરવામાં આવશે. પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલે જણાવ્યુ હતુ કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકોટમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોની પસંદગી માટે આજે સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી. જેમાં AAP માંથી દરેક વોર્ડમાંથી લડવા ઈચ્છતા અનેક ઉમેદવારોએ દાવેદારી કરી છે. આજે ભાજપ અને કોંગ્રેસથી લોકો થાકી ગયા છે ત્યારે AAP તરફ એક આશા સાથે અનેક યુવાનો સહિતના જોડાઈ રહ્યા છે. કોર્પોરેશનની ચૂંટણી લડવા એક વોર્ડમાંથી 20 થી વધુ ઉમેદવારો દાવેદારી માટેના ફોર્મ ભરી ગયા છે. પ્રદેશ નેતા શિવલાલ બારસીયા અને દિનેશ જોશી સહિતનાએ કોર્પોરેશનની ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાવી છે. જેથી AAP ની ટોચની નેતાગીરી પણ કોર્પોરેશનની ચૂંટણી ગંભીરતાથી લડવા તૈયાર છે. આ પ્રક્રિયામાં રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી, રાજકોટ જિલ્લા પ્રમુખ તેજસ ગાજીપરા, તથા લોકસભા સહઇન્ચાર્જ દિલીપસિંહ વાઘેલા, વિધાનસભા 70 ઇન્ચાર્જ શિવલાલ બારસીયા, વિધાનસભા 68 ઇન્ચાર્જ રાહુલ ભુવા, વિધાનસભા 71 રાજકોટ ગ્રામ્ય ઈનચાર્જ કૌશિક મકવાણા, વિધાનસભા 67 વાંકાનેર ઇન્ચાર્જ પંકજ આંદ્રોજા સહિતના જોડાયા હતા. આમ આદમી પાર્ટી દ્વારા બે તબક્કામાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરશે. પ્રથમ તબક્કામાં જિલ્લા અને લોકસભા સ્તરે આગામી 10થી લઈને 15મી તારીખ સુધી અલગ અલગ જિલ્લાઓ અને લોકસભા વિસ્તારોમાં આમ આદમી પાર્ટીની સ્ક્રુટિની કમિટીઓ બેઠકો કરશે. તેમાં તમામ દાવેદારો જેમણે ચૂંટણી લડવા માટે ઇચ્છા દર્શાવી છે, તેઓને મળવામાં આવશે અને સાથે સંગઠનના સાથીઓ સાથે ચર્ચા કરીને પસંદગી પ્રક્રિયા આગળ વધારવામાં આવશે. ત્યારબાદ પ્રદેશ સ્તરે પ્રદેશ ચૂંટણી કમિટી દ્વારા 16મીથી 18મી તારીખ વચ્ચે તમામ ઉમેદવારના નામો અને ચર્ચાઓ પર વિચાર કરવામાં આવશે. ત્યાર પછી આ તમામ નામો આમ આદમી પાર્ટીની સર્વોચ્ચ સમિતિ પાસે અંતિમ મંજૂરી માટે મોકલવામાં આવશે. અમને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો 20મી માર્ચ પછી જાહેર કરવામાં આવશે અને પાર્ટી તમામ સીટો પર મજબૂત ઉમેદવારો સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એન.એચ.એલ. મેડિકલ કોલેજ સંચાલિત એસવીપી હોસ્પિટલમાં દર્દીઓની સારવાર તેમજ વિવિધ તબીબી સેવાઓ આપવામાં આવી રહી છે. વર્ષ 2019થી 2025 દરમિયાનના 7 વર્ષના સમયગાળામાં 14,53,638 દર્દીઓએ OPD સેવાઓનો લાભ લીધો હતો. જે અંતર્ગત સ્થાપના વર્ષ 2019માં કુલ 1,27,764 દર્દીઓએ OPD સેવાઓનો લાભ લીધો હતો. વર્ષ 2020માં આ સંખ્યા 65,466 અને વર્ષ 2021માં 99,533 રહી હતી. ત્યારબાદ વર્ષ 2022માં OPD દર્દીઓની સંખ્યા વધીને 1,82,087 થઈ હતી, જ્યારે વર્ષ 2023માં તે 2,70,673 સુધી પહોંચી હતી. વર્ષ 2024માં આ આંકડો વધીને 3,06,246 થયો હતો અને વર્ષ 2025માં વધુ વધારો નોંધાઈ 4,01,869 દર્દીઓ સુધી પહોંચ્યો છે. આ રીતે વર્ષ 2019ની તુલનામાં વર્ષ 2025માં OPD દર્દીઓની સંખ્યામાં લગભગ ત્રણ ગણો વધારો નોંધાયો છે. 2019ની તુલનામાં વર્ષ 2025માં દાખલ દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારોIPD (Admissions) સેવાઓ અંતર્ગત વર્ષ 2019માં હોસ્પિટલમાં કુલ 14,167 દર્દીઓ દાખલ થયા હતા. વર્ષ 2020માં 18,764 દર્દીઓ દાખલ થયા હતા, જ્યારે વર્ષ 2021માં 11,451 દર્દીઓ દાખલ થયા હતા. વર્ષ 2022માં દાખલ દર્દીઓની સંખ્યા 12,507 રહી હતી અને વર્ષ 2023માં તે વધીને 22,044 થઈ હતી. વર્ષ 2024માં 27,888 દર્દીઓ દાખલ થયા હતા અને વર્ષ 2025માં આ સંખ્યા વધીને 31,332 સુધી પહોંચી ગઈ છે. આથી સ્થાપના વર્ષ 2019ની તુલનામાં વર્ષ 2025માં દાખલ દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં સર્જિકલ સેવાઓમાં મહત્વપૂર્ણ વૃદ્ધિ નોંધાઈવર્ષ 2019માં કુલ 4,082 સર્જરી કરવામાં આવી હતી. વર્ષ 2020માં 2,168 સર્જરી તથા વર્ષ 2021માં 1,428 સર્જરી કરવામાં આવી હતી. વર્ષ 2022માં સર્જરીની સંખ્યા વધીને 3,584 થઈ હતી અને વર્ષ 2023માં 6,893 સર્જરી કરવામાં આવી હતી. વર્ષ 2024માં આ સંખ્યા વધીને 8,153 થઈ હતી અને વર્ષ 2025માં 8,999 સર્જરી સુધી પહોંચી છે. આથી સ્પષ્ટ થાય છે કે છેલ્લા કેટલાંક વર્ષોમાં સર્જિકલ સેવાઓમાં મહત્વપૂર્ણ વૃદ્ધિ નોંધાઈ છે. હોસ્પિટલમાં લેબોરેટરી અને રેડિયોલોજી સેવાઓમાં પણ સતત વધારો નોંધાયો લેબોરેટરી સેવાઓ અંતર્ગત વર્ષ 2019માં 1,65,874 તપાસો કરવામાં આવી હતી. વર્ષ 2020માં આ સંખ્યા વધીને 6,97,089 થઈ હતી અને વર્ષ 2021માં 5,97,587 રહી હતી. ત્યારબાદ વર્ષ 2022માં 2,84,125 તથા વર્ષ 2023માં 2,71,894 તપાસો કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2024માં લેબોરેટરી સેવાઓનો આંકડો વધીને 5,64,080 થયો હતો અને વર્ષ 2025માં 7,64,135 તપાસો સુધી પહોંચી ગયો છે. રેડિયોલોજી સેવાઓમાં વર્ષ 2019માં 68,418 તપાસો કરવામાં આવી હતી, જ્યારે વર્ષ 2020માં 81,509 અને વર્ષ 2021માં 78,107 તપાસો નોંધાઈ હતી. વર્ષ 2022માં 84,829 તપાસો કરવામાં આવી હતી, જ્યારે વર્ષ 2023માં આ સંખ્યા વધીને 1,15,893 થઈ હતી. વર્ષ 2024માં 1,58,961 તપાસો કરવામાં આવી હતી અને વર્ષ 2025માં આ આંકડો વધીને 2,28,092 સુધી પહોંચ્યો છે. સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં નોંધાયેલ આ અત્યાર સુધીનો સૌથી વધુ આંકડોઆયુષ્માન ભારત યોજના હેઠળના લાભાર્થીઓની વાત કરીએ તો 2019થી 2025નાં સાત વર્ષના સમયગાળા દરમિયાન 75,617 જટેલા લાભાર્થીઓએ આ સેવાનો લાભ લીધો હતો. જે અંતર્ગત વર્ષ 2019માં 7,999 લાભાર્થીઓને સારવાર આપવામાં આવી હતી. વર્ષ 2020માં 3,453 લાભાર્થીઓને લાભ મળ્યો હતો, જ્યારે વર્ષ 2021 દરમિયાન COVID પરિસ્થિતિને કારણે આ આંકડો નોંધાયો નહોતો. વર્ષ 2022માં 4,534 લાભાર્થીઓને સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2023માં આ સંખ્યા નોંધપાત્ર રીતે વધીને 15,148 થઈ હતી. વર્ષ 2024માં 20,506 લાભાર્થીઓને લાભ મળ્યો હતો અને વર્ષ 2025માં આ સંખ્યા વધીને 23,977 સુધી પહોંચી ગઈ છે. આ આંકડાઓ દ્વારા આયુષ્માન ભારત યોજના હેઠળ એક જ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં નોંધાયેલ આ અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે, જે અમદાવાદ શહેરમાં પ્રથમ ક્રમાંક પર છે. SVP હોસ્પિટલમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ લોકોને વિનામૂલ્યે સારવાર આપવામાં આવીરાજ્ય સરકારની Road Traffic Accident (RTA) – વાહન અકસ્માત સહાય યોજના અંતર્ગત પણ છેલ્લાં સાત વર્ષમાં 6810 જેટલા લોકોએ આ સેવાનો લાભ ઉઠાવ્યો હતો. SVP હોસ્પિટલમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ લોકોને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી છે. વર્ષ 2019માં 687 લોકોને સારવાર આપવામાં આવી હતી. વર્ષ 2020માં 366 અને વર્ષ 2021માં 327 લોકોને સારવાર આપવામાં આવી હતી. વર્ષ 2022માં આ સંખ્યા વધીને 524 થઈ હતી, જ્યારે વર્ષ 2023માં 1,041 લોકોને સારવાર આપવામાં આવી હતી. વર્ષ 2024માં 1,800 લોકોને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી અને વર્ષ 2025માં આ સંખ્યા વધીને 2,065 સુધી પહોંચી છે.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની મુલાકાત લીધી હતી. તેમણે વાંસદાના નાની ભમતી ખાતે જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત 'બિયારણ વૃદ્ધિ કેન્દ્ર'ની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રે થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ વહીવટીતંત્રના પ્રયાસોને બિરદાવ્યા અને ખેડૂતોમાં જનજાગૃતિ વધારવા પર ભાર મૂક્યો. મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ બિયારણ વૃદ્ધિ કેન્દ્રમાં કાર્યરત 'ગુરુકૃપા સખી મંડળ'ની બહેનો સાથે સંવાદ સાધ્યો. તેમણે બહેનો દ્વારા તૈયાર કરવામાં આવતા જીવામૃત અને ઘનમૃતના ઉત્પાદન વિશે વિગતવાર માહિતી મેળવી. આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો પર ચર્ચા કરી બહેનોને પ્રોત્સાહિત કર્યા અને જણાવ્યું કે ગ્રામીણ સ્તરે આવા પ્રયાસો ખેતીના ઉત્થાન માટે અનિવાર્ય છે. જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાએ રાજ્યપાલશ્રીને કેન્દ્રની સમગ્ર કાર્યપદ્ધતિથી માહિતગાર કર્યા. કેન્દ્રની કામગીરીથી પ્રભાવિત થઈને રાજ્યપાલશ્રીએ નવસારી જિલ્લા વહીવટીતંત્રની સુંદર કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા. તેમણે આ કેન્દ્રને 'મોડેલ ફાર્મ' તરીકે વિકસાવવા અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે જનજાગૃતિ અભિયાન તેજ કરવા માર્ગદર્શન આપ્યું. આ મુલાકાત પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ, વાંસદા પ્રાયોજના વહીવટદાર પ્રણવ વિજયવર્ગીય, પોલીસ અધીક્ષક રાહુલ પટેલ, પ્રાંત અધિકારી ભાર્ગવ માહલા, જિલ્લા ખેતીવાડી અધિકારી અતુલ ગજેરા સહિત સખી મંડળની બહેનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે 15 વર્ષ જૂના ચકચારી મર્ડર કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે. વર્ષ 2011માં રાંદેર વિસ્તારમાં પોતાના જ સગા પિતાની નિર્મમ હત્યા કરી અને માતા પર જીવલેણ હુમલો કરી ફરાર થયેલો આરોપી પુત્ર મોહમદ ઈમરાન ઉર્ફે ગુડ્ડુને પોલીસે બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના ઐરાઈ રામપુર ગામમાંથી દબોચી લીધો છે. ઉલ્લેખનીય છે કે, દોઢ દાયકાથી પોલીસને થાપ આપી અલગ અલગ શહેરોમાં છુપાઈને રહેતા આરોપી પુત્ર 1,750 કિમી દૂર નેપાળ બોર્ડર નજીકથી પકડી પાડવામાં આવ્યો છે. કામ-ધંધા બાબતે ઠપકો આપતા પિતાની હત્યા કરીઆ ઘટનાની વિગત એવી છે કે, વર્ષ 2011માં રાંદેરના ભરૂચી ભાગળ વિસ્તારમાં મોહમદ અતાઉર રહેમાન શેખ તેમના પરિવાર સાથે રહેતા હતા. તેમનો પુત્ર ઈમરાન ઉર્ફે ગુડ્ડુ કોઈ કામ-ધંધો કરતો ન હોવાથી પિતા અવારનવાર તેને ટોકતા હતા. ઘટનાના દિવસે વહેલી સવારે 5થી 6 વાગ્યાના સુમારે પિતા-પુત્ર વચ્ચે પૈસા અને કામ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પિતાએ ગુસ્સામાં આવીને ઈમરાનને ઘર છોડીને ચાલ્યો જા તેમ કહેતા ઈમરાન આવેશમાં આવી ગયો હતો અને પિતાની હત્યા કરી નાખી. રસોડાના ચીપિયા વડે પિતા પર કર્યો હુમલોગુસ્સામાં અંધ ઈમરાને રસોડામાંથી રોટલી શેકવાનો લોખંડનો ચીપિયો ઉઠાવ્યો અને તેણે પોતાના પિતાના પેટ, ગરદન અને હાથ પર એક પછી એક ઉપરાછાપરી ઘા ઝીંકવાનું શરૂ કર્યું હતું. પિતા લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યા હોવા છતાં પુત્રનું હૃદય પીગળ્યું નહોતું. પિતાને બચાવવા વચ્ચે પડેલી પોતાની જન્મદાત્રી માતા પર પણ તેણે જીવલેણ હુમલો કર્યો હતો. માતા-પિતાને અધમૂઈ હાલતમાં છોડી રૂમને બહારથી તાળું મારી તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ હુમલામાં પિતાનું મોત નિપજ્યું હતું. 15 વર્ષથી પોલીસને થાપ આપી અલગ અલગ શહેરોમાં છૂપાયોહત્યા કર્યા બાદ ઈમરાને ધરપકડથી બચવા માટે તે ભાગતો ફરતો હતો. તે સૌપ્રથમ ટ્રેન પકડીને કોલકાતા ભાગી ગયો હતો, જ્યાં તે ચાર-પાંચ દિવસ રેલવે સ્ટેશન પર ભટકતો રહ્યો. ત્યારબાદ તે મુંબઈ પહોંચ્યો અને એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ગણાતી ધારાવીમાં આશરો લીધો. અહીં તેણે પોતાની અસલી ઓળખ છુપાવી દીધી અને કેટરિંગના વ્યવસાયમાં મજૂરી કામ કરવા લાગ્યો. છેલ્લા 15 વર્ષથી તે મુંબઈમાં સામાન્ય મજૂર તરીકે રહી પોલીસની નજરથી બચતો રહ્યો હતો. આરોપીને રમજાન માસમાં વતન જવું ભારે પડ્યુંહાલમાં પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો હોવાથી, ઈમરાનને પોતાના વતનની યાદ આવી હતી. તે લાંબા સમય બાદ મુંબઈથી બિહારના મુઝફ્ફરપુર સ્થિત પોતાના ગામ ઐરાઈ રામપુર ગયો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચની 'વાહન સ્ક્વોડ' સતત હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સ દ્વારા તેની પર નજર રાખી રહી હતી. જેવી બાતમી મળી કે આરોપી વતનમાં આવ્યો છે, તુરંત જ સુરત પોલીસની એક ટીમ બિહાર રવાના કરવામાં આવી હતી. 1,750 કિમી દૂર જઈ સુરત પોલીસે આરોપીને દબોચ્યોસુરતથી છેક 1,750 કિલોમીટર દૂર નેપાળ બોર્ડર નજીક પહોંચેલી પોલીસે સ્થાનિક નેટવર્કની મદદથી ઈમરાનનું લોકેશન ટ્રેસ કર્યું હતું. પોલીસે કોઈપણ જાતની ભૂલ કર્યા વિના રામપુર ગામમાં છાપો મારી ઈમરાન ઉર્ફે ગુટ્ટુને ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો હતો. આરોપી વિરૂદ્ધ કોર્ટે અગાઉ CRPC કલમ 70 મુજબનું વોરન્ટ પણ જાહેર કર્યું હતું. વર્ષો સુધી પોલીસને દોડાવનાર આ આરોપી આખરે કાયદાના સકંજામાં આવી ગયો છે. ક્રાઈમ બ્રાન્ચ આરોપીને રાંદેર પોલીસને સોંપશેસુરત ક્રાઈમ બ્રાન્ચ આરોપીની ધરપકડ કર્યા બાદ તેને સુરત લઈ આવી છે. પ્રાથમિક પૂછપરછમાં તેણે પિતાની હત્યાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે. હવે ક્રાઈમ બ્રાન્ચ આ આરોપીને રાંદેર પોલીસ સ્ટેશનમાં સોંપશે, જ્યાં તેની સામે હત્યા અને હત્યાના પ્રયાસના ગુના હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 15 વર્ષ પછી પિતાના હત્યારા પુત્રને પકડીને સુરત પોલીસે મોટી સફળતા મેળવી છે.
ગુજરાતમાં પ્રમોલગેશન થયેલા ગામોમાં જમીન માપણી દરમિયાન રહી ગયેલી ક્ષતિઓને કારણે ખેડૂતો લાંબા સમયથી પરેશાન હતા. આ સમસ્યાના કાયમી અને આયોજનબદ્ધ ઉકેલ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે સમગ્ર રાજ્યમાં જમીન સીમાંકનની ભૂલો સુધારવા માટે એક સમાન પદ્ધતિ અમલી બનાવવામાં આવશે, જેનાથી ગ્રામીણ નાગરિકો અને ખેડૂતોને મોટી રાહત મળશે. મહેસૂલ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં લેવાયેલા આ નિર્ણયથી રાજ્યમાં 'ગુડ ગવર્નન્સ' અને 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'ને નવો વેગ મળશે. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સમિતિની રચનામુખ્યમંત્રીના આદેશ અનુસાર, રાજ્યના દરેક જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં 'ભૂમિ સીમાંકન સમિતિ' કાર્યરત કરવામાં આવશે. આ સમિતિ જિલ્લામાં જમીન માપણીની કામગીરીની સતત સમીક્ષા કરશે. આ ઉચ્ચસ્તરીય સમિતિમાં નિવાસી અધિક કલેક્ટર, SLR/નાયબ નિયામક જમીન દફતર, પ્રાંત અધિકારી, DILR, મામલતદાર, TDO અને જમીન સંપાદન અધિકારી જેવા જવાબદાર અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમ જટિલ પ્રશ્નોનો ત્વરિત નિકાલ લાવવા માટે જવાબદાર રહેશે. ક્ષતિ સુધારણા માટે 7 વિશેષ કેટેગરી નક્કી કરાઈ અરજીઓના સુચારૂ નિકાલ માટે સરકારે પરિસ્થિતિ મુજબ 7 અલગ-અલગ કેટેગરી નિર્ધારિત કરી છે: સરકારી જમીનમાં ઘટાડો ન થયો હોય અને કોઈ વાંધો ન હોય. સરકારી જમીન સુરક્ષિત હોય અને ખાતેદારને પણ કોઈ વાંધો ન હોય. સરકારી જમીનમાં ઘટાડો ન હોય પરંતુ વાંધા અરજીઓ પેન્ડિંગ હોય. 3A. સરકારી જમીનમાં ઘટાડો થયો હોય અને વાંધા અરજીઓ પેન્ડિંગ હોય. ગામના 30% થી વધુ સરવે નંબરોમાં કબજા ફેરફાર (અવલ-દવલ) થયો હોય. ગામના વાંધાઓ માત્ર એક ચોક્કસ વિસ્તાર સુધી મર્યાદિત હોય. 30% થી વધુ નંબરોમાં ક્ષેત્રફળ ફેરફાર, કાસ્કેડીન્ગ ઇફેક્ટ કે આકૃતિમાં ફેરફાર હોય. જે ગામોમાં હજુ પ્રમોલગેશન થયું જ ન હોય. મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા સ્થળ પર જ નિકાલખેડૂતોને કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે માટે મુખ્યમંત્રીએ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારોને વિશેષ સત્તાઓ આપી છે. જટિલ પ્રશ્નો માટે 'મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમિતિ' સ્થળ પર જઈને ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમની કલમ 119, 120 અને જમીન મહેસૂલ નિયમ, 1972ના વિવિધ નિયમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરશે. આ પારદર્શક પદ્ધતિથી ખેડૂતોના હિતોનું રક્ષણ થશે અને વર્ષો જૂના જમીન વિવાદોનો અંત આવશે.
અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોની સુરક્ષા વધારવા માટે રેલવે સુરક્ષા દળ (RPF) સતત કાર્યરત છે. તાજેતરમાં RPF એ મુસાફરો સાથે છેતરપિંડી કરતી એક મોટી આંતરરાજ્ય ગેંગના બે સક્રિય સભ્યોને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ ભોળા અને ઓછા શિક્ષિત મુસાફરોને પોતાની જાળમાં ફસાવીને તેમની કમાણી લૂંટી લેતા હતા. છેતરપિંડીની અનોખી મોડસ ઓપરેન્ડીઆ ગેંગ ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર જતાં મજૂર વર્ગના મુસાફરોને નિશાન બનાવતી હતી. આરોપીઓ મુસાફરોનો વિશ્વાસ જીતવા તેમની ભાષામાં વાત કરતા અને ખોટી માહિતી આપતા કે રેલવે પરિસરમાં રોકડ કે મોબાઈલ રાખવો પ્રતિબંધિત છે. તેઓ મુસાફરોને ડરાવતા કે આ રકમ રેલવે કાર્ડમાં જમા કરાવવી ફરજિયાત છે. વિશ્વાસ બેસાડવા માટે તેમનો એક સાથી નકલી 500 ના કૂપન નોટ આપી કાર્ડ બનાવવાનું નાટક કરતો. આ રીતે મુસાફરો પાસેથી રોકડ અને મોબાઈલ પડાવી તેઓ ફરાર થઈ જતા હતા. RPF ની વિશેષ ટીમ દ્વારા કાર્યવાહીઅમદાવાદ રેલવે સ્ટેશન પર બે મુસાફરોએ ફરિયાદ નોંધાવી હતી કે તેમની પાસેથી કુલ 15,000 રોકડ, મોબાઈલ અને બેંક ખાતામાંથી અંદાજે 1,00,000 ની છેતરપિંડી થઈ છે. ઘટનાની ગંભીરતા જોઈ ઇન્સ્પેક્ટર/RPF ના નેતૃત્વમાં CPDS ટીમની રચના કરવામાં આવી. CCTV ફૂટેજ અને સઘન તપાસના અંતે પરેશ કુમાર પટેલ (સુરત) અને કાઉડા (ઉદયપુર) નામના બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. મુદ્દામાલની જપ્તી અને તપાસપકડાયેલા આરોપીઓ પાસેથી 1,03,150 રોકડ, 4 મોબાઈલ ફોન, 2 બેગ અને 84 નકલી કૂપન નોટો મળી આવી છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે આ ગેંગ દિલ્હી, સિકંદરાબાદ, હૈદરાબાદ, જયપુર અને ભોપાલ જેવા મોટા સ્ટેશનો પર પણ સક્રિય હતી. હાલમાં આ બંને આરોપીઓને આગળની કાર્યવાહી માટે GRP અમદાવાદને સોંપવામાં આવ્યા છે અને તેમની સામે BNS ની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. રેલવે પ્રશાસન મુસાફરોને અપીલ કરે છે કે કોઈ પણ અજાણી વ્યક્તિની વાતોમાં ન આવવું અને શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તુરંત હેલ્પલાઇનનો સંપર્ક કરવો.
વિધાનસભા ગૃહમાં ઈટાલિયા-સંઘવી સામસામે વિધાનસભા ગૃહમાં આજે ગોપાલ ઈટાલિયા અને હર્ષ સંઘવી વચ્ચે ચકમક ઝરી. ઈટાલિયાએ કહ્યું, કે હું 8 પાસ નથી એલએલબી ભણેલો છું . એટલે પોતાને હોશિયાર માનું છું. તો સંઘવીએ જવાબ આપતા કહ્યું કે, ચોપડી ભલે ઓછી વાંચી હશે, પણ જૂતું ફેંકવાનું શીખ્યા નથી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હોટલ-રેસ્ટોરાં અને લારીવાળાઓની મુશ્કેલી વધી અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધને કારણે રાજ્યમાં કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરતા રેસ્ટોરન્ટ અને લારીવાળાઓની મુશ્કેલી વધી. તો તંગીની સંભાવનાને જોતા લોકોએ પહેલેથી જ ગેસના બાટલા બુક કરાવી દીધા હતા, જે લેવા લોકો એજન્સીની બહાર લાઈનમાં લાગ્યા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દીવમાં ગરમીએ તોડ્યો 100 વર્ષનો રેકોર્ડ રાજ્યમાં મોટા ભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું.. દીવ કે જ્યાં માર્ચમાં તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેતું હોય છે, ત્યાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયુ. જેણે 100 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મેયરે આડકતરી રીતે સ્વીકાર્યો આંતરિક વિખવાદ રાજકોટના મેયર નયના પેઢડીયાએ ભાજપના આંતરિક વિખવાદનો આડકતરી રીતે સ્વીકાર કર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સ્પેશિયલ મેરેજ એક્ટથી લગ્ન કરવાનો હુકમ મહેસાણામાં લિવઈનમાં રહેતા હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકને હાઈકોર્ટે સ્પે.મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરવાનો હુકમ આપ્યો. પરિવારોએ યુવક યુવતીને અલગ કરતા યુવકે હેબિયસ કોપર્સ કરી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને નડ્યો અકસ્માત બનાસકાંઠાના પાંથાવાડા નજીક ગુંદરી હાઈવે પર 12માંની પરીક્ષા આપવા જતા બે વિદ્યાર્થીઓને ટેન્કરે ટક્કર મારી. અકસ્માતમાં બાઈક સવાર વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એથર કંપનીના વેરહાઉસમાં ભીષણ આગ સુરતમાં એથર કંપનીના વેરહાઉસમાં ભીષણ આગ લાગી. એકબાદ એક 30થી વધુ બ્લાસ્ટ થયા અને આગ આસપાસની 4 મિલોમાં ફેલાઈ.વિસ્ફોટમાં બે માળનું બિલ્ડિંગ ધ્વસ્ત થઈ ગયું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટ્રાવેલ્સની ઓફિસમાં પાર્સલમાં બ્લાસ્ટ થયો અમદાવાદના પાલડીમાં આવેલી ફાલ્કન ટ્રાવેલ્સની ઓફિસમાં પાર્સલમાં બ્લાસ્ટ થયો.પાર્સલમાં સિલિકોન સ્પ્રે હતો. .સ્પ્રે તડકામાં રાખ્યો હોવાથી બ્લાસ્ટ થયાનું પ્રાથમિક તારણ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કોથળામાંથી મહિલાનો મૃતદેહ મળતા ચકચાર સુરતના અમરોલીમાં કોથળામાંથી મહિલાનો મૃતદેહ મળ્યો..હત્યા કરીને લાશ ફેંકી દેવામાં આવી હોવાની આશંકા સાથે અમરોલી પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દહેગામ નજીક ટ્રેલર અને ટેન્કર વચ્ચે અકસ્માત દિલ્હી -મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર દહેગામ નજીક ટ્રેલર અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો.. અકસ્માતમાં ટેન્કરના આગળના ભાગનો કુરચો બોલી ગયો..ચાલક સ્ટીયરિંગ તથા કેબિનના પતરાં વચ્ચે ફસાઈ ગયો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં 'જલ અર્પણ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. જળ એ જ જીવન છેના સંદેશને સાર્થક કરવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમની શરૂઆત ગામની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ રેલીથી થઈ હતી. બાળકોએ પ્લેકાર્ડ્સ અને પાણી બચાવો, જીવન બચાવો જેવા સૂત્રોચ્ચાર સાથે ગ્રામજનોમાં જળ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવી હતી. રેલી બાદ ગામના જળસ્ત્રોતો પાસે ગ્રામજનોએ પરંપરાગત રીતે નાડા-છડી બાંધી જળ પૂજન કર્યું હતું. આ પ્રસંગે ગ્રામજનોએ જળ સ્ત્રોતોની યોગ્ય સંભાળ અને જાળવણી રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જિલ્લા કલેક્ટરે તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, પાણીનો સંયમપૂર્વક ઉપયોગ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. તેમણે ગ્રામજનોને પાણી બચાવવા અને જળ સંરક્ષણ માટે સક્રિય સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે કલેક્ટરના હસ્તે 'ગ્રામ જલ સ્વચ્છતા સમિતિ'ને 'જલ કલશ' અને 'પ્રશસ્તિ પત્ર' એનાયત કરવામાં આવ્યા હતા. પાણીના વિતરણ અને વ્યવસ્થાપન માટે જરૂરી સાધનોની વિશેષ કિટ પણ સમિતિને સોંપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને અધિકારીઓ સહિત સૌએ સામૂહિક રીતે 'જલ શપથ' લીધા હતા. તેમણે પાણીનો બગાડ અટકાવવા અને જળ સંપત્તિનું જતન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
હારીજ તાલુકાના દાંતરવાડા ગામના 26 વર્ષીય યુવકનું અપહરણ કરી હત્યા કરવામાં આવી છે. ગંજ બજારમાં નોકરી કરતા અરવિંદજી ઉર્ફે અરૂણ ઠાકોરને ચાર અજાણ્યા શખ્સોએ ગાડીમાં ઉઠાવી જઈ ઢોર માર માર્યો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. પરિવારજનો અને સરપંચના પતિએ જૂની અદાવતમાં હત્યા થઈ હોવાનો આરોપ લગાવ્યો છે. નોકરી પરથી અપહરણ કર્યું હોવાનો આરોપપ્રાપ્ત માહિતી અનુસાર, દાંતરવાડા ગામનો રહેવાસી અરૂણ રમેશજી ઠાકોર હારીજ ગંજ બજારની એક પેઢીમાં નોકરી કરતો હતો. રોજિંદા ક્રમ મુજબ તે નોકરી પર ગયો હતો, ત્યારે ચાર અજાણ્યા ઈસમો ગાડીમાં આવ્યા અને તેનું અપહરણ કર્યું હતું. શખ્સો યુવકને ઢોરમાર મારી ફરાર થઇ ગયાપરિવારજનો અને ગામના મહિલા સરપંચના પતિ વિનોદજી મહાદેવજી ઠાકોરના જણાવ્યા અનુસાર, અપહરણકર્તાઓ યુવકને કોઈ અજ્ઞાત સ્થળે લઈ ગયા હતા. ત્યાં તેને તીક્ષ્ણ હથિયારો અને લાકડીઓ વડે ગંભીર રીતે માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તે બેહોશ થઈ ગયો હતો. બાદમાં શખ્સો તેને બેહોશ હાલતમાં છોડીને ફરાર થઈ ગયા હતા. સારવાર દરમિયાન યુવકનું મોતઘટનાની જાણ થતાં જ પરિવારજનો દ્વારા અરૂણને તાત્કાલિક પાટણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, તેની હાલત નાજુક જણાતા તેને વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પોલીસે આગળની તપાસ હાથ ધરીયુવકના મોતને પગલે પરિવારમાં શોક છવાઈ ગયો છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. સરપંચના પતિએ આ ઘટના પાછળ જૂની અદાવત હોવાની શંકા વ્યક્ત કરી છે. હાલમાં ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા ચાલી રહી છે અને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ મહાપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2025-26નો રૂ. 450 કરોડનો વેરા ટાર્ગેટ પૂરો કરવા માટે દોડધામ શરૂ કરવામાં આવી છે. જેને લઈ દરવર્ષની જેમ આ વર્ષે પણ માર્ચ એન્ડિંગને ધ્યાનમાં રાખીને બીજો-ચોથો શનિવાર, રવિવાર તેમજ જાહેર રજાઓના દિવસોમાં વેરા વસુલાતની કામગીરી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. તા. 15/01/2026થી તા. 31/03/2026 દરમિયાન તમામ રજાઓમાં પણ વેરા વસુલાત શાખા, અસેસમેન્ટ સેલ અને રીકવરી સેલ કાર્યરત રહેશે. જેથી, નાગરિકોને વેરા ભરવામાં કોઈ અસુવિધા ન થાય અને તેઓ સરળતાથી બાકી રકમ જમા કરાવી શકે. ખાસ કરીને મિલકતવેરા અને પાણી વેરા પર અમલમાં રહેલી વ્યાજ માફી યોજનાનો લાભ તા. 31 માર્ચ સુધી જ મળવાપાત્ર હોવાથી નાગરિકોને આ સુવર્ણ તક ઝડપી લેવા અપીલ કરવામાં આવી છે. વધુમાં વધુ લોકોને વ્યાજમાફી યોજનાનો પણ લાભ લેવા અપીલ વેરા વસુલાત વિભાગના મેનેજર વત્સલ પટેલે જણાવ્યા મુજબ નાગરિકોની સુવિધા અને હાલ ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને મનપા તંત્ર દ્વારા સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત આવતીકાલથી શરૂ કરી 25 માર્ચ સુધી તમામ દિવસોમાં, જેમાં બીજા-ચોથા શનિવાર અને રવિવારનો પણ સમાવેશ થાય છે, શહેરની તમામ વોર્ડ ઓફિસ, સિવિક સેન્ટર અને ઝોનલ કચેરી સવારે 9:30થી સાંજે 5:00 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. નાણાકીય વર્ષના અંતિમ દિવસો એટલે કે તા. 26 માર્ચથી 31 માર્ચ સુધી આ કચેરીઓનો સમય વધારીને સવારે 9:30થી સાંજે 6:10 કલાક સુધીનો કરી દેવામાં આવશે ત્યારે વધુમાં વધુ નાગરિકોને તેનો બાકી રહેલો વેરો તાત્કાલિક ભરવા અને વ્યાજમાફી યોજનાનો પણ લાભ લેવા અપીલ કરવામાં આવી છે. વર્ક આસિસ્ટન્ટ અને ફૂડ સેફ્ટી ઓફિસરની 15 જગ્યાઓ માટે સોમવારે પરીક્ષારાજકોટ મહાપાલિકા દ્વારા લાંબા સમયથી ખાલી પડેલી વર્ક આસિસ્ટન્ટની 11 અને ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરની 4 મળી કુલ 15 જગ્યાઓ પર ભરતી કરવા માટે આગામી 16 માર્ચ, સોમવારના રોજ લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં વર્ક આસિસ્ટન્ટ માટે 777 અને ફૂડ ઇન્સ્પેક્ટર માટે 563 ઉમેદવારો સહિત કુલ 1340 ઉમેદવારો નોંધાયા છે. 100 માર્કનું પ્રશ્નપત્ર ગુજરાતી ભાષામાં રહેશે અને પરીક્ષાનો સમય બપોરે 3 થી 4-30 વાગ્યાનો રાખવામાં આવ્યો છે. મહાપાલિકા દ્વારા આ પરીક્ષા માટે શહેરના 5 વિવિધ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં ચૌધરી હાઇસ્કૂલ સ્થિત સદગુરૂ મહિલા હોમસાયન્સ કોલેજના યુનિટ-1 અને યુનિટ-2, કે.એમ. પાંધી ઇંગ્લિશ મીડિયમ લો કોલેજના યુનિટ-1 અને યુનિટ-2 તેમજ સદર બજારમાં આવેલી લાલ બહાદુર શાસ્ત્રી ગર્લ્સ હાઇસ્કૂલનો સમાવેશ થાય છે. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો તેમજ કોલ લેટર અંગેની જાણ પાલિકાની વેબસાઇટ દ્વારા કરવામાં આવી છે. રાજકોટ મહાપાલિકાના કર્મચારીઓના પગાર ધોરણમાં સુધારારાજકોટ મહાનગરપાલિકાની ખાસ સાધારણ સભામાં ગઈકાલે 75 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓના પગાર ધોરણમાં સુધારા કરવાનો મહત્વનો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે. જેમાં 9 કેડરના કર્મચારીને પેન્શન યોજનાનો લાભ અને 2016 થી એરીયર્સ આપવાનો સુધારો જોડી દેવામાં આવતા મિશ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. ખાસ કરીને ભાજપ સંકલન દ્વારા જ અગાઉના ઠરાવમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરાતા રાજકીય ગલિયારાઓમાં આશ્ચર્ય ફેલાયું છે. સુધારા મુજબ ચીફ ફાયર ઓફિસર, લીગલ ઓફિસર, સેનેટરી ઇન્સપેક્ટર અને સફાઈ સુપરવાઈઝર સહિતના અધિકારીઓને નવા પગાર ધોરણનો લાભ મળશે. એકતરફ હાલ રાજકોટ મનપાની આર્થિક સ્થિતિ હાલ નાજુક ગણવામાં આવી રહી છે. અગાઉ 100 કરોડના બોન્ડ બહાર પાડવામાં આવ્યા છે અને તાજેતરમાં જ કમિશનરને 200 કરોડની લોન લેવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. બીજીતરફ આ નવા સુધારાના કારણે મનપાની તિજોરી પર વાર્ષિક રૂ. 12 થી 15 કરોડનો વધારે નાણાકીય બોજ આવવાનું અનુમાન છે. જોકે, કર્મચારી યુનિયનોની સતત રજૂઆતો બાદ મળેલી આ સફળતાથી કર્મચારીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. મેયર નયનાબેન પેઢડીયાએ નેહલ શુકલની દરખાસ્ત અને વિનુભાઇ ઘવાના ટેકા સાથે આ ઠરાવને આખરી મંજૂરી આપી હતી.
પાલિકાની વેરા વસૂલાત માટે કડકાઈ:છાણી રોડ ઉપર આવેલા પેટ્રોલપંપનો 2.92 લાખ વેરો બાકી પડતા સીલ કરાયો
વડોદરા મહાનગરપાલિકા દ્વારા કડકાઇથી વેરા વસૂલાતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે વિવિધ મિલકતોને સીલ કરવાં આવી રહી છે. આજરોજ શહેરના વોર્ડ 1માં આવેલા છાણી રોડ ઉપરના નાયરા કંપનીના પેટ્રોલ પંપને સીલ કરવામાં આવ્યો હતો. 2.92 લાખ વેરો બાકી હોવાના કારણે મિલકતો સીલ કરવામાં આવીપાલિકાના રેવન્યુ વિભાગના અધિકારી સુરેશ તુવેરે જણાવ્યું હતું કે, વોર્ડ નં. ૧ ઉત્તર ઝોનમાં VMC દ્વારા કર વસૂલાતનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. લાલપુરા ઓલ્ડ છાણી રોડ પાસે સેન્ટ જોસેફ સ્કૂલ નજીક આવેલા ન્યારા પેટ્રોલ પંપને સીલ મારવાની કામગીરી કરવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ. 2,92,000 મિલકત વેરાની ચુકવણી ન કરવાને કારણે સીલ કરવામાં આવ્યો છે. વોર્ડ નં. 1 ટીમ રેવન્યુનું નેતૃત્વ સિનિયર ક્લાર્ક જતિનભાઈ, જુનિયર ક્લાર્ક પ્રતિકભાઈ, પટાવાળા રમણભાઈની ટીમે આ કાર્યવાહી કરી છે. 790 કરોડના વેરાની વસૂલાતનો લક્ષ્યાંકમહાનગરપાલિકાના રેવન્યુ વિભાગના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેરે જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે વેરા વસુલાત માટે 790 કરોડનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. જેના માટે હાલમાં રહેણાંક અને બિન રહેણાંકમાં કડકાઇથી વેરા વસૂલવામાં આવે છે. બિન રહેણાંક મિલકતોને સીલ મારવાની કામગીરી કરાય છે. ગત વર્ષે 724 કરોડનું લક્ષ્યાંક હતુંવડોદરા મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષે 724 કરોડના વેરા વસુલાત માટેનું લક્ષ્યાંક રાખ્યું હતું. જોકે, 31 માર્ચ સુધીમાં પાલિકાએ 712 કરોડની જ વસુલાત કરી હતી. ગત વર્ષે પાલિકાને ફ્લડ ઈફેક્ટના કારણે વેરા વસૂલાતમાં લક્ષ્યાંક પર પાડવામાં સફળતા મળી ન હતી પરંતુ, આ વખતે તેમાં સફળતા મળે એવી આશા છે.
નાનાપોંઢામાં GAIL ઇન્ડિયાની મોકડ્રીલ યોજાઈ:ગેસ લિકેજની કટોકટીમાં બચાવ કામગીરીનો અભ્યાસ કરાયો
વલસાડ જિલ્લાના નાનાપોંઢા નજીક નાની તંબાડી ખાતે ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ (GAIL) દ્વારા લેવલ-III ઓફસાઇટ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. દહેજ–ઉરાન ક્રોસ કન્ટ્રી નેચરલ ગેસ પાઇપલાઇન સિસ્ટમ પર યોજાયેલી આ કવાયતનો હેતુ ગેસ લિકેજ જેવી કટોકટીની સ્થિતિમાં વિવિધ વિભાગોની સજ્જતા અને સંકલન ક્ષમતા ચકાસવાનો હતો. મોકડ્રીલ દરમિયાન, ગેસ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાઈ ગેસ ગળતર શરૂ થયું હોવાનું કલ્પિત દૃશ્ય ઊભું કરાયું હતું. ગેસ આસપાસના વિસ્તારમાં ફેલાવાની સંભાવના ઊભી થતાં તાત્કાલિક લેવલ-3 ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી અને તંત્ર સક્રિય બન્યું હતું. ઘટનાની જાણ થતાં ચીફ ઇન્સિડન્ટ કમાન્ડર અને ફાયર-સેફ્ટી કન્ટ્રોલર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે ઘટનાસ્થળને સુરક્ષિત બનાવી કોર્ડન કર્યું અને કંટ્રોલ રૂમને સ્થિતિની જાણ કરી. GAIL ઇન્ડિયાની ફાયર ટીમે વિવિધ ફાયર એક્સ્ટીંગ્યુશરનો ઉપયોગ કરીને ગેસના ફેલાવાને રોકવાના પ્રયાસો હાથ ધર્યા. ગેસ ગળતર વધુ પ્રેશર સાથે થતાં સ્થિતિ કાબૂ બહાર જતી જણાતા જિલ્લા વહીવટીતંત્રને મદદ માટે જાણ કરવામાં આવી. ત્યારબાદ ધરમપુર પ્રાંત અધિકારી આર.સી. પટેલ, ઇનચાર્જ મામલતદાર નવીન ચૌરા, ડિઝાસ્ટર મામલતદાર એચ.વી. કાકલોતર અને તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ સંભાળી. GAIL ઇન્ડિયાની ફાયર ટીમને સહાય કરવા વાપી નોટિફાઇડ એરિયા GIDC ફાયર ટીમ પણ સ્થળ પર પહોંચી. મોકડ્રીલ દરમિયાન GAIL ઇન્ડિયાના એક કર્મચારી ગેસના પ્રભાવથી બેહોશ થયા હોવાનો દૃશ્ય ઊભું કરાયું હતું. રેસ્ક્યુ ટીમે તેમને બહાર કાઢી મેડિકલ ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડ્યા. પરિસ્થિતિ ગંભીર બનતાં વાપી મહાનગરપાલિકાની ફાયર ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ટીમોએ સંકલિત કામગીરી કરીને ગેસ ગળતર ઘટાડ્યું. ત્યારબાદ GAIL ઇન્ડિયાની પાઇપલાઇન મેન્ટેનન્સ ટીમે લીકેજ બંધ કરવાની કામગીરી હાથ ધરી ગેસ ગળતર સંપૂર્ણપણે અટકાવ્યું. ચીફ ઇન્સિડન્ટ કમાન્ડર અને ઇન્સિડન્ટ કમાન્ડરે સ્થળ નિરીક્ષણ કરીને ગેસ લીકેજ સંપૂર્ણ બંધ થયું હોવાની જાહેરાત કરી. આ મોકડ્રીલમાં ફાયર ટીમ, મેડિકલ ટીમ, પોલીસ, એવેક્યુએશન ટીમ અને ઓબ્ઝર્વર ટીમ સહિત વિવિધ એજન્સીઓએ ભાગ લીધો હતો. આવી કવાયત દ્વારા સંભવિત અકસ્માત સમયે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા, ઝડપી રાહત-બચાવ કામગીરી હાથ ધરવા અને જાનહાનિ અટકાવવા માટેની તૈયારીનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવે છે. મોકડ્રીલ દરમિયાન ડુંગરા પોલીસ, 108 ઇમરજન્સી સેવા, બીઆરસી નાનાપોંઢા, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી, વલસાડ, ગેલ ઈન્ડિયાના અધિકારીઓ તેમજ ગુજરાત ગેસના પ્રતિનિધિઓ સહિત અનેક અધિકારી-કર્મચારીઓ હાજર રહ્યા હતા મોકડ્રીલ પૂર્ણ થયા બાદ ડી-બ્રિફિંગ સત્ર યોજાયું, જેમાં કરવામાં આવેલી કામગીરી અને લેવાયેલા નિર્ણયોની સમીક્ષા કરવામાં આવી.
ગોધરાના કાસુડી ગામે ઝેરી સાપ દેખાયો:વાઈલ્ડ લાઈફ ટીમે રેસ્ક્યૂ કરી સુરક્ષિત જંગલમાં છોડ્યો
ગોધરા તાલુકાના કાસુડી ગામમાં એક રહેણાંક મકાન પાસે ઝેરી સાપ દેખાતા ફફડાટ વ્યાપી ગયો હતો. વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સાપને સુરક્ષિત રીતે પકડી નજીકના જંગલમાં છોડી દીધો હતો. આ ઘટના કાસુડી ગામના નિશાળ ફળિયામાં બની હતી. ગણપત બારીયાના મકાનની બહાર અચાનક એક ઝેરી સાપ દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગણપતે તરત જ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટીમને જાણ કરી હતી. માહિતી મળતા જ વાઈલ્ડ લાઈફ ટીમના સભ્યો આકાશ ભોઈ અને જનક સોલંકી તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે અત્યંત સાવચેતી અને કુશળતાપૂર્વક આ ઝેરી સાપનું રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડ્યું હતું. સાપને સુરક્ષિત રીતે પકડી લીધા બાદ તેને નજીકના જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો. સાપ પકડાઈ જતાં સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો અને ભયમુક્ત થયા હતા.
ગઢડા પોલીસે સગીરા પર દુષ્કર્મ આચરવાના આરોપી બેચર ધનજી જાડાનું પંચ રોજકામ અને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું છે. આ દરમિયાન પોલીસે આરોપીને ગામમાં ફેરવી લોકોની માફી મંગાવી હતી. પોલીસે આરોપી બેચર ધનજી જાડાને ઘટનાસ્થળે લઈ જઈ દુષ્કર્મ કયા સ્થળે આચરવામાં આવ્યું તેની વિગત મેળવી હતી. રીકન્સ્ટ્રક્શન પ્રક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા હતા. આ કેસમાં સગીરાને દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવવાની ફરિયાદ ગત ૪ માર્ચે ગઢડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ગઢડા પોલીસે આરોપી બેચર ધનજી જાડાને અમરેલીના બોર્ડર પર આવેલા પહાડી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સગીરાને ૨૦ થી ૨૨ સપ્તાહનો ગર્ભ છે. દુષ્કર્મની ફરિયાદ અને આરોપીના રીકન્સ્ટ્રક્શન અંગે ગઢડાના PI ડી. બી. પલાસે માહિતી આપી હતી.
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
જિલ્લાના બેરોજગાર યુવાનોને રોજગારીની તક પૂરી પાડવા અને ઉદ્યોગોને કુશળ માનવબળ મળી રહે તે માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી હતી. ગત 09/03/2026ના રોજ જૂનાગઢના બિલખા રોડ પર આવેલી જે.જે.સી.ઇ. ટ્રસ્ટ સંચાલિત કોમર્સ એન્ડ બીબીએ કોલેજ કેમ્પસ ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું ભવ્ય આયોજન કરાયું હતું. આ મેળામાં જિલ્લાના ઉત્સાહી યુવાનો અને નામાંકિત કંપનીઓ વચ્ચે સીધો સંવાદ સ્થાપિત થયો હતો. ડિજિટલ માધ્યમથી આમંત્રણ અને ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ રોજગાર કચેરી દ્વારા આધુનિક અભિગમ અપનાવીને અંદાજે 4500થી વધુ ઉમેદવારોને ઈ-મેઇલ અને સોશિયલ મીડિયાના માધ્યમથી ઇન્ટરવ્યુ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ ડિજિટલ પ્રસારના પરિણામે મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા હતા. જે પૈકી હાજર રહેલા 95 ઉમેદવારો માટે વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા રૂબરૂ ઇન્ટરવ્યુની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પસંદગી પ્રક્રિયા અને શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો સમગ્ર ઇન્ટરવ્યુ પ્રક્રિયામાં ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને ટેકનિકલ કૌશલ્યને મુખ્ય માપદંડ બનાવવામાં આવ્યા હતા. કસોટીના અંતે વિવિધ સંસ્થાઓ દ્વારા લાયકાત ધરાવતા 82 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી (શોર્ટલિસ્ટ) કરવામાં આવી છે. આ પસંદગી પામેલા યુવાનો હવે નોકરીની સફરમાં આગામી રાઉન્ડ માટે આગળ વધશે. નામાંકિત કંપનીઓની ઉપસ્થિતિ આ ભરતીમેળામાં કોર્પોરેટ જગતની જાણીતી સંસ્થાઓએ ભાગ લીધો હતો, જેમાં:જૂનાગઢ જ્વેલરી પ્રા.લી., રિલાયન્સ નિપ્પોન લાઈફ ઇન્સ્યુરન્સ અને એચ.ડી.એફ.સી. લાઈફ, ભારતી એક્સા લાઈફ ઇન્સ્યુરન્સ તથા LIC, વિનય ઇન્ડસ્ટ્રીઝ અને સાવન ઓટોટ્રેડ, સુપરનોબલ ઓટોમોબાઇલ અને બિલિવ્યુ સરોવર પ્રિમિયર વગેરે કંપનીઓ ઉપસ્થિત રહી હતી નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન કાર્યક્રમ દરમિયાન જિલ્લા રોજગાર અધિકારી ડી.એ. પરમાર, કોલેજના પ્રિન્સિપાલ ત્રાડા તથા પ્લેસમેન્ટ ઓફિસર ઓડેડરાએ ઉપસ્થિત રહી ઉમેદવારોનો ઉત્સાહ વધાર્યો હતો. તેઓએ યુવાનોને સ્પર્ધાત્મક યુગમાં માત્ર ડિગ્રી નહીં પણ 'સ્કિલ ડેવલપમેન્ટ' (કૌશલ્ય વર્ધન) પર ભાર મૂકવા સમજાવ્યું હતું. આ તકનો લાભ લઈ યુવાનો પોતાની ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરી શકે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
વડોદરા શહેરના છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા પરિવારની ધોરણ- 6માં અભ્યાસ કરતી 14 વર્ષની વિદ્યાર્થીને મોબાઈલ વાપરવા બાબતે ઠપકો આપતા રિસાઈને ઘરેથી નીકળી ગઈ હતી. ત્યારબાદ ફોન પણ ઉપાડતી ન હોવાથી માતા-પિતા સહિતનો પરિવાર ચિંતિત બન્યો હતો. છાણી પોલીસને જાણ કરતા પોલીસે આખી રાત દોડધામ કરીને સગીરાને શોધી કાઢી હતી અને સગીર દીકરીને ગણતરીના કલાકોમાં અમદાવાદ CTM ચાર રસ્તા પાસેથી શોધી કાઢી તેને તેના માતા-પિતા સાથે પુનઃ મિલન કરાવ્યું છે. ધો.6ની વિદ્યાર્થિની રાતે 12.30 એ ઘરેથી નીકળી ને પછી ગુમરાત્રિના આશરે એક વાગ્યાના અરસામાં સગીરાના પિતા છાણી પોલીસ સ્ટેશન પર પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે, તેમની ધોરણ-6માં અભ્યાસ કરતી દીકરી રાત્રે આશરે 12:30 વાગ્યે ઘરેથી નીકળી ગઈ છે અને ફોન પણ ઉપાડતી નથી. આ બાબતની ગંભીરતા સમજીને પી.આઈ આર.એલ. પ્રજાપતિએ તાત્કાલિક પોલીસ ટીમને સક્રિય કરી દીકરીના મોબાઈલ લોકેશનના આધારે શોધખોળ શરૂ કરી હતી. શરૂઆતમાં લોકેશન દેના બ્રિજ અને ત્યારબાદ એરફોર્સ બ્રિજ વિસ્તારનું મળ્યું હતું. ત્યારબાદ લોકેશન કરજણ તરફ જતા હોવાને કારણે કરજણ ટોલનાકા અને કરજણ પોલીસ સ્ટેશનને પણ જાણ કરવામાં આવી હતી. આગળ મળેલા લોકેશન મુજબ દીકરી અમદાવાદ એક્સપ્રેસ હાઈ-વે તરફ જતા હોવાની જાણ થતા રામોલ પોલીસ સ્ટેશન તથા હાઈ-વે ટોલ નાકાઓને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા. અમદાવાદના CTM ચાર રસ્તા પાસે સવારે 6 વાગ્યે મળીછાણી પોલીસ સ્ટેશનના અનાર્મ હેડ કોસ્ટેબલ ભાવેશભાઈ દેવજીભાઈને દીકરીને શોધવા માટે તેના માતા-પિતા સાથે અમદાવાદ તરફ રવાના કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અમદાવાદના CTM ચાર રસ્તા નજીક દીકરીનું લોકેશન મળતા પોલીસ દ્વારા તપાસ કરતા અંતે દીકરી સવારે 6 વાગ્યે મળી આવી હતી. જેથી, દીકરી મળી આવતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા અને માતા-પિતાએ છાણી પોલીસ સ્ટેશનની કામગીરી માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ દીકરીને સુરક્ષિત રીતે વડોદરા પરત લાવી તેની યોગ્ય કાઉન્સેલિંગ કર્યા બાદ તેને માતા-પિતાને સોંપવામાં આવી છે.
સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ તીર્થધામ વિહળધામ પાળીયાદ ખાતે 1008 પ.પૂ. મહામંડલેશ્વર નિર્બળા બાના દર્શનનો લાભ ભક્તોને મળ્યો હતો. આ પ્રસંગે ગ્રીન મેન તરીકે જાણીતા સી.એલ. ભિકડિયા સાહેબનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. પંચાલ પ્રદેશમાં આવેલું વિહળધામ પાળીયાદ સંત પરંપરા અને આધ્યાત્મિકતા માટે વિશેષ મહત્વ ધરાવે છે. લાખો શ્રદ્ધાળુઓનું આ આસ્થાનું કેન્દ્ર છે, જ્યાં પરમ પૂજ્ય વિસામણ બાપુની જગ્યા ભક્તિ, સેવા અને માનવતાના મૂલ્યોનું પ્રતિક મનાય છે. તીર્થધામ વિહળધામ ખાતે વિસામણ બાપુના મંદિરે ભક્તિભાવપૂર્વક આરતી અને દર્શન કરવામાં આવ્યા હતા. આ સાથે જગ્યા પરિસરના અદભૂત સ્થળોની મુલાકાત પણ લેવામાં આવી હતી અને 1008 પ.પૂ. મહામંડલેશ્વર નિર્બળા બાના દર્શનનો લ્હાવો પ્રાપ્ત થયો હતો. દર્શન દરમિયાન, પાળીયાદના સહકારી આગેવાન અને ગૌસેવાભાવી કનુભાઈ ખાચર દ્વારા ગ્રીન મેન સી.એલ. ભિકડિયા સાહેબને શાલ ઓઢાડીને અને ગૌમાતાની સ્મૃતિ ભેટ આપીને અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનોખી મહેમાનગતિ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ જગ્યામાં સ્નેહસભર ભોજન પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી.
સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં જેનું વિશેષ મહત્વ છે તેવા જેતલપુરધામ ખાતે આયોજિત દ્વિશતાબ્દી પાટોત્સવ 'અવસર'નું અત્યંત ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે સમાપન થયું છે. ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ પોતાના હસ્તે જે 9 મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું, તેમાંના અતિ મહત્વના એવા પાંચમા મંદિર જેતલપુરમાં રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાને 200 વર્ષ પૂર્ણ થતા આ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મહારાજના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. ઐતિહાસિક 200 વર્ષની સ્મૃતિ અને શ્રદ્ધાનો સંગમ ભગવાન સ્વામિનારાયણે વિક્રમ સંવત 1882 માં ફાગણ વદ આઠમના દિવસે જેતલપુરધામમાં મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. આજે 11 માર્ચ, 2026 ના રોજ આ ઘટનાને બરાબર 200 વર્ષ પૂર્ણ થયા છે. આ દ્વિશતાબ્દી મહોત્સવ નરનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. 1008 આચાર્ય કોશલેન્દ્રપ્રસાદજી મહારાજ તથા મોટા મહારાજ પ.પૂ. તેજેન્દ્રપ્રસાદજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી સંપન્ન થયો હતો. આ સમગ્ર મહોત્સવનું નેતૃત્વ અને અધ્યક્ષપદ ભાવિ આચાર્ય પ.પૂ. 108 વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજે સંભાળ્યું હતું. 05 માર્ચથી શરૂ થયેલા આ 7 દિવસીય 'અવસર' કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં હરિભક્તો અને સ્વયંસેવકો ઉમટી પડ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું સંબોધનમહોત્સવના અંતિમ દિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સભાને સંબોધતા જણાવ્યું હતું કે, જેતલપુરધામના 200 વર્ષ પૂર્ણ થવાનો આ અવસર માત્ર સંપ્રદાય માટે જ નહીં પણ સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે. તેમણે ઉમેર્યું કે, આપણે કલ્પના કરીએ કે 200 વર્ષ પહેલાં જ્યારે ભગવાને સ્વહસ્તે આ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી હશે, ત્યારે વાતાવરણ કેટલું દિવ્ય હશે! સનાતન સંસ્કૃતિમાં જ્યાં ભગવાનના ચરણ પડ્યા હોય તે ભૂમિના કણેકણને આપણે પવિત્ર માનીએ છીએ. જેતલપુર તો એવું ધામ છે જ્યાં ભગવાને સ્વયં બિરાજમાન થઈને શક્તિ ફૂંકી છે. સમાજ સુધારણા અને સમરસતાનું કેન્દ્રમુખ્યમંત્રીએ ભગવાન સ્વામિનારાયણના સામાજિક પ્રદાનને યાદ કરતા કહ્યું કે, સમાજને કુરિવાજો અને અંધશ્રદ્ધાની જાળમાંથી બહાર કાઢવાનું ભગીરથ કાર્ય સ્વામિનારાયણ ભગવાને કર્યું હતું. તેમણે જેતલપુરમાં આયોજિત ઐતિહાસિક વિષ્ણુ મહાયોગનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, તે સમયે ભગવાને તમામ વર્ગના લોકોને સાથે બેસાડી જમાડીને સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પરંપરા આજે પણ સંપ્રદાયના માધ્યમથી જીવંત છે, જે રાષ્ટ્ર નિર્માણમાં મદદરૂપ થઈ રહી છે. વિકસિત ભારત અને લોકભાગીદારીનું આહ્વાનરાષ્ટ્રના સર્વાંગી વિકાસ વિશે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો હંમેશા રાષ્ટ્રહિત અને સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યા છે. તેમણે વર્ષ 2047 સુધીમાં 'વિકસિત ભારત' અને 'વિકસિત ગુજરાત'ના સંકલ્પને સાકાર કરવા માટે સૌને એકજૂથ થઈને આગળ વધવા આહ્વાન કર્યું હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવા આધ્યાત્મિક ઉત્સવોથી સમાજમાં નવી ઉર્જા અને સકારાત્મકતાનો સંચાર થાય છે. ભવ્ય આયોજન અને હરિભક્તોનો ઉત્સાહ7 દિવસ સુધી ચાલેલા આ 'અવસર' મહોત્સવમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરની રોશની અને શણગાર જોનારાના મન મોહી લે તેવા હતા. હજારો સ્વયંસેવકોએ રાત-દિવસ સેવા આપીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મહોત્સવના સમાપન સમયે સંતો-મહંતો અને રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓએ પણ હાજરી આપી હતી. જેતલપુરધામના આ 200 વર્ષના મહોત્સવે ભક્તિ, સેવા અને રાષ્ટ્રવાદનો ત્રિવેણી સંગમ રચીને ઇતિહાસમાં પોતાનું નામ અંકિત કર્યું છે.
નવસારી શહેરમાં જાહેર સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) વિભાગે કડક વલણ અખત્યાર કર્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ખાનગી પ્લોટમાં લાંબા સમયથી સફાઈ ન થતા ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. આ ગંભીર બેદરકારી બદલ તંત્રએ 18 મિલકત ધારકોને સત્તાવાર નોટિસ ફટકારી તાત્કાલિક સફાઈ કરવા આદેશ આપ્યો છે. રોગચાળાનું જોખમ વધતા તંત્રની લાલ આંખ મનપાના સર્વે મુજબ, અનેક ખાનગી પ્લોટમાં કચરો અને જંગલી ઘાસ ઉગી નીકળ્યું છે. આ સ્થિતિને કારણે મચ્છરોનું સંવર્ધન થતા આસપાસના રહીશોમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા જીવલેણ રોગો ફેલાવવાનું જોખમ ઉભું થયું છે. નાગરિકોના આરોગ્યની સુરક્ષાને ધ્યાને રાખી SWM વિભાગે નોટિસ આપીને ચોક્કસ સમયમર્યાદામાં સફાઈ પૂર્ણ કરવા જણાવ્યું છે. જો નિયત સમયમાં પ્લોટ સ્વચ્છ નહીં કરાય તો મનપા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી ભારે દંડ વસૂલવામાં આવશે. નોટિસ મેળવનાર મિલકત ધારકોની યાદી પાલિકાએ વોર્ડ વાઈઝ સર્વે કરીને નીચે મુજબના ધારકો સામે કાર્યવાહી કરી છે 'સ્વચ્છ નવસારી' માટે સહયોગની અપીલ મનપાએ સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં પણ આ પ્રકારનો સર્વે ચાલુ રહેશે અને ગંદકી રાખનાર વધુ પ્લોટ ધારકો સામે પગલાં લેવાશે. 'સ્વચ્છ નવસારી, સ્વસ્થ નવસારી'ના સૂત્રને સાર્થક કરવા તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે પોતાની ખાનગી માલિકીની જગ્યાઓ સ્વચ્છ રાખવી એ સૌની નૈતિક જવાબદારી છે.
મહાત્મા ગાંધી દ્વારા 1920માં સ્થાપિત અને મૂલ્યનિષ્ઠ શિક્ષણનું પ્રતીક ગણાતી ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા આવતીકાલે 12 માર્ચ, 2026ના રોજ 97માં ‘દાંડીકૂચ સ્મૃતિ દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે આઝાદીના ઇતિહાસને જીવંત રાખવા માટે વિશેષ કાર્યક્રમો અને પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સૂતરની આંટી સાથે યાત્રાનું પ્રસ્થાનઆ ઉજવણીનો પ્રારંભ સાબરમતી આશ્રમ ખાતેથી થશે. સવારે 8:30 વાગ્યે પૂજ્ય બાપુની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને આદરણીય કુલપતિ ડૉ. હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને આ પદયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવશે. આ યાત્રામાં ગૂજરાત વિદ્યાપીઠના 150થી વધુ ઉત્સાહી વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સહભાગી થશે. આ ઉપરાંત, રાષ્ટ્ર જાગરણ પ્રતિષ્ઠાનના નેજા હેઠળ વિવિધ યુનિવર્સિટીઓના અન્ય 30 વિદ્યાર્થીઓ પણ આ પદયાત્રામાં જોડાઈને દેશભક્તિના રંગે રંગાશે. ઐતિહાસિક પ્રથમ પડાવ પર પૂર્ણાહુતિઆ પદયાત્રાનું સમાપન ગૂજરાત વિદ્યાપીઠમાં આવેલા ‘પ્રાણજીવન વિદ્યાર્થી ભવન’ ખાતે થશે. ઉલ્લેખનીય છે કે, 1930માં ગાંધીજીએ જ્યારે ઐતિહાસિક દાંડી યાત્રા શરૂ કરી હતી, ત્યારે આ ભવન તેમનો પ્રથમ પડાવ હતું. અહીં તમામ પદયાત્રીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને 97 વર્ષ પૂર્વેની એ યાદોને તાજી કરવામાં આવશે. “ઐતિહાસિક દાંડી કૂચ” પુસ્તકનું વિમોચનઆ સ્મૃતિ દિવસને યાદગાર બનાવવા માટે એક વિશેષ પુસ્તક વિમોચનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. મહાત્મા ગાંધીની એ સત્યાગ્રહ યાત્રાના અંશોને વણી લેતા “ઐતિહાસિક દાંડી કૂચ” પુસ્તકનું આ અવસરે વિમોચન થશે. ત્યારબાદ પદયાત્રીઓ સાથે દાંડીકૂચના વિષય પર એક ગહન વાર્તાલાપ યોજાશે, જે નવી પેઢીને ગાંધીજીના વિચારો અને સ્વાતંત્ર્ય સંગ્રામના સંઘર્ષથી માહિતગાર કરશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંગણે આજે જ્ઞાન અને સંસ્કારનો ત્રિવેણી સંગમ રચાયો હતો. યુનિવર્સિટી સ્થિત બાબાસાહેબ આંબેડકર ચેર-સેન્ટર દ્વારા ‘ડો. આંબેડકરનું શિક્ષણ દર્શન અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020’ વિષય પર એક ભવ્ય રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણ જગતના અગ્રણીઓ અને મહાનુભાવોએ ઉપસ્થિત રહીને આજના યુગમાં આંબેડકરી વિચારધારાની પ્રસ્તુતતા પર પ્રકાશ પાડ્યો હતો. કિશોરભાઈ મકવાણાનું 'ભીમરત્ન' એવોર્ડથી બહુમાન આ પ્રસંગે એક વિશેષ ગૌરવવંતો ક્ષણ ત્યારે જોવા મળી જ્યારે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરમેન કિશોરભાઈ મકવાણાને તેમના સમાજ અને શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ 'ભીમરત્ન' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્પલ જોશીના હસ્તે આ સન્માન પદવી અર્પણ કરવામાં આવી હતી. સન્માન સ્વીકારતા કિશોરભાઈએ બાબાસાહેબ આંબેડકર ચેર-સેન્ટરનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. શિક્ષણ એ માનવતા તરફ જવાનો માર્ગપોતાના સંબોધનમાં કિશોરભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, ડો. બાબાસાહેબ આંબેડકર માત્ર કાયદાશાસ્ત્રી નહોતા, પણ એક મહાન શિક્ષણવિદ હતા. તેમણે તે જમાનામાં પણ દીકરા-દીકરીના સમાન શિક્ષણની હિમાયત કરી હતી. કિશોરભાઈએ ભારપૂર્વક કહ્યું કે, વિદ્યા એ માત્ર ડિગ્રી મેળવવાનું સાધન નથી, પરંતુ તે માનવતા તરફ લઈ જનારું અગત્યનું માધ્યમ છે. તેમણે આજની યુવા પેઢીને અનુરોધ કર્યો હતો કે તેઓ બાબાસાહેબના જીવનમાંથી પ્રેરણા લઈ આત્મસન્માન અને ચારિત્ર્યના ગુણો કેળવે. રાષ્ટ્ર ઘડતરમાં શિક્ષકોની ભૂમિકા અને પડકારોશિક્ષણના આધુનિક પરિપ્રેક્ષ્યમાં વાત કરતા કિશોરભાઈએ ઉમેર્યું કે, શિક્ષણ એવું હોવું જોઈએ જે વિદ્યાર્થીઓને ભવિષ્યના પડકારો સામે લડવાની શક્તિ આપે. તેમણે શિક્ષકોને રાષ્ટ્ર ઘડતરના 'સારથિ' ગણાવ્યા હતા અને શિખવ્યું હતું કે શિક્ષણ પ્રક્રિયા યંત્રવત ન હોવી જોઈએ. શિક્ષકની સજ્જતા એવી હોવી જોઈએ કે જે વિદ્યાર્થીમાં સાચા અર્થમાં જ્ઞાનનું સિંચન કરી શકે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી કુલપતિ ડો. ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે, બાબાસાહેબ હંમેશા વાણી, વર્તન અને વ્યવહારની શુદ્ધિ પર ભાર મૂકતા હતા. જો વિદ્યાર્થીઓ આ માનવીય ગુણો કેળવે તો જ તેમનું શિક્ષણ સાર્થક ગણાશે. તેમણે ગૌરવ સાથે નોંધ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ડો. આંબેડકર ચેર પોતાની ઉમદા શૈક્ષણિક પ્રવૃત્તિઓને કારણે સમગ્ર રાજ્યમાં એક મોડેલ તરીકે ઉભરી આવી છે. તજજ્ઞોનું માર્ગદર્શન અને સ્પર્ધકોનું સન્માનઆ પરિસંવાદમાં દિલ્હી IGNOU થી આવેલા ડો. કૌશલબેન પંવાર અને પ્રો. નાથાલાલ ગોહિલે પણ પ્રાસંગિક વક્તવ્ય આપ્યા હતા. તેમણે વર્તમાન સમયમાં આંબેડકરજીના વિચારોની ઉપયોગિતા વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. કાર્યક્રમ દરમિયાન વિવિધ વકતૃત્વ અને નિબંધ સ્પર્ધાના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ફેલોશિપ મેળવતા વિદ્યાર્થીઓ અને સંશોધકોનું પણ સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં રજિસ્ટ્રાર ગઢવી, સમાજ કલ્યાણ વિભાગના નાયબ નિયામક આનંદબા ખાચર, ડો. આંબેડકર ચેરના ચેરમેન પ્રો. રાજાભાઈ કાથડ સહિત મોટી સંખ્યામાં પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ રજિસ્ટ્રાર ગઢવી દ્વારા કરવામાં આવી હતી.
નવસારી શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી હીરા મેન્શન કોલોનીમાં લાંબા સમયથી ગટર ઉભરાવાની સમસ્યા છે. ગટરના ગંદા પાણી અને દુર્ગંધથી સ્થાનિકો પરેશાન છે. નગરપાલિકામાં વારંવાર રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થતા, રહીશોએ આગામી ચૂંટણીમાં મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. સ્થાનિક રહીશ નેહા સાવંતે જણાવ્યું કે, હીરા મેન્શનમાં છેલ્લા એક મહિનાથી, ખાસ કરીને ઉત્તરાયણના બીજા દિવસથી ગટર ઉભરાવવાની સમસ્યા શરૂ થઈ છે. નગરપાલિકામાં અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં સફાઈ માટે કોઈ આવતું નથી. તેમણે ઉમેર્યું કે, ગંદા પાણી અને દુર્ગંધને કારણે ઘરમાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે. નેહા સાવંતે વધુમાં જણાવ્યું કે, ગટર સફાઈના કેટલાક પ્રયાસો થયા હતા, પરંતુ તે નિષ્ફળ રહ્યા છે. જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે, તો તેઓ આગામી ચૂંટણીમાં મતદાન નહીં કરે તેવી ચીમકી ઉચ્ચારી છે. હીરા મેન્શન વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિર આવેલું છે, જ્યાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. તેમને પણ આ ગંદકીમાંથી પસાર થવું પડે છે. રસ્તા પર ગટરના પાણી ફરી વળતા અવરજવર મુશ્કેલ બની છે. સ્થાનિકોના મતે, ગંદકીને કારણે નાના બાળકો અને વડીલોના સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે. રહીશોનો આક્ષેપ છે કે, નગરપાલિકામાં સંપર્ક કરવા છતાં માત્ર આશ્વાસન આપવામાં આવે છે, પરંતુ સ્થળ પર કોઈ કર્મચારી તપાસ કરવા આવતો નથી. આ મામલે ડ્રેનેજ વિભાગના અધિકારી રાજેશ ગાંધીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, આ સમસ્યા હાલમાં મારી જાણમાં નથી. હું આ મામલે તપાસ કરાવી લઉં છું અને સ્થિતિ જોયા બાદ જ યોગ્ય જવાબ આપી શકીશ. અધિકારીના આ નિવેદનથી સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે, કારણ કે અનેક રજૂઆતો છતાં તંત્ર હજુ અજાણ હોવાનો દાવો કરી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે રહીશોની મતદાન બહિષ્કારની ચીમકી બાદ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ.
તબીબી ક્ષેત્રે ટેકનોલોજી જેટલી ઝડપથી બદલાઈ રહી છે, તેટલી જ ઝડપથી ડોક્ટરોએ પણ પોતાની કુશળતાને અપડેટ કરવી અનિવાર્ય બની છે. વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) ખાતે સીનિયર રેસિડેન્ટ ડોક્ટરો માટે એક અનોખી તક ઊભી થઈ છે. અહીં 'વેટ લેબોરેટરી ઓન વ્હીલ્સ' દ્વારા ડોક્ટરોને અત્યાધુનિક સર્જિકલ તાલીમ આપવામાં આવી રહી છે. જૉનસન એન્ડ જૉનસન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ ખાસ ડિઝાઇનર બસ કોઈ હાઈટેક હોસ્પિટલના ઓપરેશન થિયેટરથી ઓછી નથી. તમામ સુવિધાઓથી સજ્જ ‘ઇન્સ્ટિટ્યૂટ ઓન વ્હીલ્સ 2.0’આ તાલીમ કાર્યક્રમ માટે ખાસ ‘જૉનસન એન્ડ જૉનસન ઇન્સ્ટિટ્યૂટ ઓન વ્હીલ્સ 2.0’ બસ વડોદરા આવી પહોંચી છે. આ બસની સૌથી મોટી વિશેષતા એ છે કે તે આધુનિક ઓપરેશન થિયેટરના તમામ સાધનોથી સજ્જ છે. 2 દિવસના આ તાલીમ સત્ર દરમિયાન ડોક્ટરોને એડવાન્સ લેપારોસ્કોપી, એનર્જી ડિવાઇસીસનો ઉપયોગ, સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હેન્ડલિંગ અને સ્યુચરિંગ (ટાંકા લેવાની) આધુનિક પદ્ધતિઓ શીખવવામાં આવી રહી છે. હોસ્પિટલના ઓપરેશન થિયેટર જેવો જ માહોલ બસમાં ઊભો કરવામાં આવ્યો છે, જેથી ડોક્ટરો વાસ્તવિક પરિસ્થિતિમાં પ્રેક્ટિસ કરી શકે. લાઇવ ટિશ્યૂ પર નિષ્ણાતોનું માર્ગદર્શનમાત્ર થીયરી નહીં, પણ પ્રેક્ટિકલ તાલીમ પર વધુ ભાર મૂકતા આ પ્રોજેક્ટમાં ડોક્ટરોને જીવંત ટિશ્યૂ (Live Tissue) પર પ્રક્રિયાઓ કરવાનો મોકો મળે છે. આ તાલીમ સર્જરી વિભાગના વડા ડો. મુકેશ પંચોળી અને અન્ય વરિષ્ઠ સર્જનોની સીધી દેખરેખ હેઠળ આપવામાં આવે છે. આ મોબાઈલ લેબમાં એકસાથે 15 તાલીમાર્થીઓ તાલીમ લઈ શકે તેવી વ્યવસ્થા છે. આ તાલીમમાં સામાન્ય સર્જરી ઉપરાંત સ્ત્રીરોગ નિષ્ણાંત, ઓર્થોપેડિક (હાડકાની સર્જરી), પ્લાસ્ટિક સર્જરી અને કાર્ડિયાક (હૃદયની સર્જરી) જેવી વિવિધ સ્પેશિયાલિટીઝને આવરી લેવામાં આવી છે. ₹8 કરોડની મોબાઈલ લેબમાં ₹50 હજારની તાલીમ બિલકુલ મફતઆ ટેકનોલોજી કેટલી મોંઘી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે આ હાઈટેક તાલીમ બસની કિંમત આશરે ₹8 કરોડ છે. સામાન્ય રીતે ખાનગી સંસ્થાઓમાં આવી હેન્ડ્સ-ઓન ટ્રેનિંગ લેવા માટે એક ડોક્ટરે આશરે ₹50,000 જેટલી મોટી ફી ચૂકવવી પડતી હોય છે. જોકે, ગુજરાત સરકારના સહયોગથી SSG હોસ્પિટલના ડોક્ટરોને આ વિશ્વસ્તરીય તાલીમ બિલકુલ મફત આપવામાં આવી રહી છે, જે અંતે તો સરકારી હોસ્પિટલમાં સારવાર લેતા ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. સમગ્ર ગુજરાતમાં પરિવર્તનનું મિશનઆ મોબાઈલ તાલીમ યુનિટ હાલમાં ગુજરાતની મુખ્ય સરકારી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં પ્રવાસ કરી રહ્યું છે. વડોદરા પહોંચતા પહેલા આ બસ રાજકોટ, ભાવનગર, જામનગર અને અમદાવાદમાં સફળતાપૂર્વક તાલીમ સત્રો પૂર્ણ કરી ચૂકી છે. વડોદરામાં 2 દિવસનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ હવે આ બસ સુરત તરફ પ્રયાણ કરશે. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યની સરકારી હોસ્પિટલોમાં કાર્યરત ડોક્ટરોની શસ્ત્રક્રિયા ક્ષમતાને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાનો છે.
વડોદરા શહેરની બરોડા ડેરીમાં નોકરી અપાવવાનું કહીને બે લોકો પાસેથી આવી રૂપિયા 39 લાખ પડાવનાર ઠગને SOG પોલીસે ઝડપી પાડ્યો છે. નોકરી વાંચ્છુક લોકોનો વિશ્વાસ કેળવવા માટે એપોઇન્ટમેન્ટ લેટર, નિમણૂક લેટર, ટ્રેનિંગ લેટર અને ભરતી યાદી જેવા બનાવટી દસ્તાવેજો તૈયાર કરાવીને લોકોને આપ્યા હતા. બાપોદ પોલીસ સ્ટેશનના ગુનામાં ધરપકડથી બચવા છેલ્લા 7 મહિનાથી આરોપી ફરાર હતો. પોલીસે વોચ ગોઠવી આરોપીની ધરપકડ કરીવડોદરા એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસને બાતમી મળી હતી કે, બાપોદ પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ આરોપી ગમેશ ડુંગર રાઠવા વડોદરા શહેરના સોમા તળાવ ચાર રસ્તા પાસે આવવાનો છે. તેવી બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન આરોપી સ્થળ ઉપર આવતા તેને ઝડપી પાડ્યો હતો. જિલ્લા સહકારી સંઘના નામે ફેક લેટર બનાવી 39 લાખ પડાવ્યાપકડાયેલ આરોપીની પૂછપરછ તેમજ રેકોર્ડ ચકાસણી કરતા જાણવા મળ્યું હતું કે, આરોપી ગમેશ રાઠવાએ બરોડા ડેરીમાં જુદી-જુદી પોસ્ટ પર સરકારી નોકરી અપાવવાના બહાને યુવક અને તેની કાકી પાસેથી પડાવી છેતરપિંડી કરી હતી. આરોપીએ વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિ.ના નામે ખોટા એપોઇન્ટમેન્ટ લેટર, નિમણૂક લેટર, ટ્રેનિંગ લેટર તથા ભરતી યાદી જેવા બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને ફરિયાદી પાસેથી 39 લાખ રૂપિયા પડાવ્યા હતા. આરોપી ધરપકડ થવાના ડરથી છેલ્લા 7 મહિનાથી ફરાર હતોઆ અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ગુનો નોંધાયો હતો. આરોપી ધરપકડ થવાના ડરથી છેલ્લા 7 મહિનાથી નાસતો ફરતો હતો. એસઓજી ટીમે આરોપી ગમેશ ડુંગરભાઇ રાઠવા (રહે. નિશાળ ફળિયા, પલાસદા ગામ, તા.કવાટ, જી. છોટા ઉદેપુર)ને વધુ કાર્યવાહી માટે બાપોદ પોલીસ સ્ટેશનમાં સોંપ્યો છે.
સાયલામાં ક્રૂડ ઓઈલ પાઈપલાઈન લીકેજની મોક ડ્રીલ:તંત્રની સજ્જતા ચકાસવા કટોકટીનો માહોલ સર્જાયો
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કાનપર ગામ નજીક આજે સવારે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની સલાયા-મથુરા પાઇપલાઇનમાં ક્રૂડ ઓઇલ લીકેજ થવાની ઘટના સામે આવી હતી. જોકે, પાછળથી જાણવા મળ્યું કે આ એક સુનિયોજિત 'લેવલ-3 ઓફસાઇટ મોક ડ્રીલ' હતી, જે તંત્રની કટોકટી વ્યવસ્થાપન સજ્જતા ચકાસવા માટે આયોજિત કરવામાં આવી હતી. મોક ડ્રીલ અંતર્ગત, પાઇપલાઇનના 176.800 કિમી ચેઇનેજ પર ભીષણ લીકેજ થયું હોવાની જાણ થતાં જ સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી. ઓઇલ લીકેજને કારણે ગંભીર ખતરાની આશંકા વચ્ચે તંત્ર દ્વારા તાત્કાલિક 'લેવલ-3'ની કટોકટી જાહેર કરવામાં આવી હતી. આસપાસના વિસ્તારમાં સતર્કતા વધારી સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી હતી અને બચાવ દળોને ઘટનાસ્થળે પહોંચવા સૂચના અપાઈ હતી. પરિસ્થિતિને પહોંચી વળવા માટે ગણતરીની મિનિટોમાં જ જિલ્લા ફાયર ટીમ, 108 મેડિકલ રેસ્ક્યુ ટીમ, પોલીસ વિભાગ, SOG અને ટ્રાફિક નિયંત્રણ દળ સહિત વિવિધ એજન્સીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી. બચાવદળોએ તાત્કાલિક મૂલ્યાંકન કરીને વિસ્તારને સુરક્ષિત બનાવવાનો પ્રયાસ શરૂ કર્યો. વહીવટી તંત્ર સાથે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને ગુજરાત ગેસ લિમિટેડના નિષ્ણાત પ્રતિનિધિઓ પણ આધુનિક સાધનો સાથે લીકેજને કાબૂમાં લેવા યુદ્ધના ધોરણે જોડાયા હતા. કલાકોની જહેમત બાદ લીકેજ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યું અને જાન-માલનું નુકસાન અટકાવી દેવામાં આવ્યું હતું. આ મોક ડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય ભવિષ્યમાં આવી કોઈ ગંભીર હોનારત સર્જાય તો તંત્ર અને ઉદ્યોગો વચ્ચેનું સંકલન અને પ્રતિસાદ કેવો હોવો જોઈએ તેની ચકાસણી કરવાનો હતો. આ સફળ મોક ડ્રીલનું નિરીક્ષણ કરવા માટે ADISH ઓફિસના અધિકારીઓ, સુરેન્દ્રનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, સાયલા મામલતદાર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ વિભાગોની ત્વરિત કામગીરી અને સંકલનની ઉપસ્થિત નિરીક્ષકો દ્વારા પ્રશંસા કરવામાં આવી, જે દર્શાવે છે કે સુરેન્દ્રનગરનું વહીવટી તંત્ર અને IOCL કોઈપણ કટોકટીને પહોંચી વળવા સજ્જ છે.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના બે મુખ્ય શહેરો અમદાવાદ અને સુરતની મેટ્રો સેવાઓને વધુ સુદૃઢ બનાવવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે કુલ 34 અત્યાધુનિક મેટ્રો ટ્રેનસેટ્સ માટે ઓર્ડર આપ્યો છે. આ મહત્વકાંક્ષી ઓર્ડરમાં અમદાવાદ મેટ્રો ફેઝ-2 માટે 10 ટ્રેનસેટ અને સુરત મેટ્રો માટે 24 ટ્રેનસેટનો સમાવેશ થાય છે. આ તમામ ટ્રેનોનું નિર્માણ કોલકાતામાં ટીટાગઢની અદ્યતન મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ખાતે કરવામાં આવી રહ્યું છે, જે 'મેક ઇન ઇન્ડિયા' અને આત્મનિર્ભર ભારતની દિશામાં એક મજબૂત ડગલું છે. અમદાવાદ-ગાંધીનગર વચ્ચે વધશે ટ્રેનોની ફ્રીકવન્સીવડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-1 અને ફેઝ-2 સફળતાપૂર્વક કાર્યરત છે. હાલમાં અમદાવાદ-ગાંધીનગર કોરિડોરમાં 68.2 કિમીના નેટવર્ક પર 32 ટ્રેનસેટ્સ દોડી રહ્યા છે. હવે નવા 10 ટ્રેનસેટ્સ ઉમેરાવાથી મુસાફરોને ટ્રેન માટે લાંબી રાહ જોવી નહીં પડે. ટ્રેનોની ફ્રીકવન્સી વધવાથી મુસાફરી વધુ સરળ બનશે અને ભીડમાં પણ ઘટાડો થશે. 24 ટ્રેનોથી સજ્જ થશે ડાયમંડ સિટીસુરતમાં પણ મેટ્રો રેલનું માળખું ઝડપથી આકાર લઈ રહ્યું છે. હાલમાં ત્યાં 40.3 કિમી લાંબા નેટવર્કનું બાંધકામ પ્રગતિમાં છે. સુરતની વધતી જતી વસ્તી અને પરિવહનની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને 24 ટ્રેનસેટ્સનો ઓર્ડર અપાયો છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા સુરત પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ શહેરી પરિવહનનું મોડેલ બનશે, જેનાથી ટ્રાફિકની સમસ્યામાં પણ મોટી રાહત મળશે. 190 કિમી સુધી વિસ્તરશે નેટવર્કગુજરાતમાં અત્યારે કુલ 108 કિમીનું મેટ્રો રેલ નેટવર્ક કાર્યરત છે, જે આગામી વર્ષોમાં વધીને 190 કિમી સુધી પહોંચવાનો અંદાજ છે. આ વિસ્તરણમાં 6.04 કિમીની એરપોર્ટ લાઇનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મેટ્રો સેવાની સફળતાને જોતા હવે રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં પણ મેટ્રો શરૂ કરવાની દરખાસ્તો સરકારની વિચારણા હેઠળ છે. હાઈટેક સુરક્ષા સુવિધાઓનવી મેટ્રો ટ્રેનો અત્યાધુનિક 'ડ્રાઇવરલેસ' ટેક્નોલોજીથી સજ્જ હશે. આ ટ્રેનોમાં મુસાફરોની સુરક્ષા માટે રિયલ-ટાઇમ મોનિટરિંગ, ઓટોમેટેડ બ્રેકિંગ સિસ્ટમ અને ઇન્ટેલિજન્ટ ફોલ્ટ ડાયગ્નોસ્ટિક્સ જેવી સુવિધાઓ હશે. આ ઉપરાંત સીસીટીવી સર્વેલન્સ, ફાયર ડિટેક્શન અને ઓબ્સ્ટેકલ ડિટેક્શન (અવરોધ શોધવાની સિસ્ટમ) જેવી આધુનિક વ્યવસ્થાઓ મુસાફરીને સલામત બનાવશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ગુજરાતની હરણફાળબુલેટ ટ્રેન પ્રોજેક્ટથી લઈને દાહોદમાં 9000 HP લોકોમોટિવ એન્જિનના ઉત્પાદન સુધી, ગુજરાત ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે દેશમાં અગ્રેસર રહ્યું છે. આ નવા મેટ્રો ઓર્ડરથી માત્ર મુસાફરોને જ સુવિધા નહીં મળે, પરંતુ રોજગાર અને કૌશલ્ય વિકાસની નવી તકો પણ ઉભી થશે. આ પ્રોજેક્ટ્સ સમયસર અમલીકરણ અને આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ પ્રત્યે રાજ્ય સરકારની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ગિરનારની ગોદમાં વસેલા ઐતિહાસિક જૂનાગઢ શહેરમાં હાલ ગેરકાયદેસર બાંધકામોનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. શહેરના ગીચ વિસ્તારો અને કુદરતી વહેણ (વોકળા) ઉપર જે રીતે સિમેન્ટ-કોંક્રિટના જંગલો ખડકાઈ રહ્યા છે, તેને જોઈને લાગી રહ્યું છે કે મનપાનું ટાઉન પ્લાનિંગ વિભાગ ઘોર નિદ્રામાં છે. આ મામલે જ્યારે જાગૃત નાગરિકો જીવના જોખમે રજૂઆતો કરે છે, ત્યારે તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામ તોડવાને બદલે અરજદાર પાસે જ પુરાવા માંગીને જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લેવામાં આવતા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. હવેલી ગલીમાં દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ?શહેરના અત્યંત ભરચક અને સાંકડા વિસ્તાર ગણાતી હવેલી ગલીમાં જૂની ઇમારતો પાડીને મસમોટા વિરાટ બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે. સ્થાનીક રહીશો અને જાગૃત નાગરિક કરશનભાઈ સોલંકીના જણાવ્યા અનુસાર, આ વિસ્તાર એટલો સાંકડો છે કે જો ભવિષ્યમાં કોઈ આગ કે ઈમરજન્સી સર્જાય, તો ત્યાં ફાયર બ્રિગેડ કે એમ્બ્યુલન્સ ઘૂસી શકે તેમ નથી. પ્રશ્ન એ ઉઠે છે કે શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? રહેણાંક વિસ્તારોમાં આ પ્રકારના વ્યવસાયિક બાંધકામો કોની મંજૂરીથી થઈ રહ્યા છે તે તપાસનો વિષય છે. વોકળા પર દબાણ: મુખ્યમંત્રીના આદેશનું ઉલ્લંઘન ?જૂનાગઢમાં ગત ચોમાસામાં આવેલી હોનારત હજુ લોકો ભૂલ્યા નથી. તે સમયે રાજ્યના મુખ્યમંત્રીએ સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે વોકળા (કુદરતી નાળા) પરના કોઈપણ 'ચમરબંધી'ના દબાણો સાંખી લેવામાં આવશે નહીં. નિયમ મુજબ વોકળાથી 30 ફૂટ દૂર બાંધકામ હોવું જોઈએ, પરંતુ કે.જે. હોસ્પિટલ પાસે અને અન્ય વિસ્તારોમાં બિલ્ડરોએ વોકળાની અંદર જ બાંધકામ કરી દીધું છે. મુખ્યમંત્રીના કડક આદેશ છતાં સ્થાનિક તંત્ર કેમ મૌન સેવી રહ્યું છે? શું તંત્ર પર કોઈ રાજકીય કે આર્થિક દબાણ છે ? અરજદારને જ નોટિસ: 'પુરાવા આપો નહીંતર અરજી ફાઈલ'મધુરમ વિસ્તારના અરજદાર કરશનભાઈ સોલંકીએ જ્યારે આ ગેરકાયદેસર બાંધકામો સામે અવાજ ઉઠાવ્યો, ત્યારે મનપાના કાર્યપાલક ઇજનેર ગાંધી દ્વારા તેમને જ સામી નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસમાં જણાવાયું છે કે, બાંધકામ ગેરકાયદે હોવાના પુરાવા 7 દિવસમાં રજૂ કરો, અન્યથા તમારી અરજી ફાઈલ (બંધ) કરી દેવાશે. આ ઘટનાએ સરકારી તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઊભા કર્યા છે. શું ગેરકાયદે બાંધકામ શોધવાની જવાબદારી લાખોનો પગાર લેતા એન્જિનિયરોની છે કે સામાન્ય નાગરિકની ? મ્યુનિસિપલ કમિશનરનો બચાવ: 'માત્ર નામ લખવાથી કાર્યવાહી ન થાય'આ સમગ્ર વિવાદ અંગે જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનરે તંત્રનો પક્ષ રાખતા જણાવ્યું છે કે, અરજદાર વારંવાર અલગ-અલગ વિસ્તારોની ફરિયાદો કરે છે, પરંતુ તેમાં કોઈ નક્કર આધાર-પુરાવા હોતા નથી. કમિશનરના મતે, માત્ર સ્થળ કે બિલ્ડિંગનું નામ લખી દેવાથી તપાસ થઈ શકતી નથી. ટાઉન પ્લાનિંગ શાખાએ અરજદારને પુરાવા આપવા જણાવ્યું છે, ત્યારબાદ જ સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. તંત્રની ટેકનિકલ દલીલો અને ઈમ્પેક્ટ ફીનો સહારોમનપા તંત્રનું કહેવું છે કે શહેરમાં બાંધકામો માટે ODPPS પોર્ટલ અને વોર્ડ એન્જિનિયર દ્વારા સમયાંતરે તપાસ થાય છે. બી.યુ. પરમિશન વખતે પણ ચકાસણી કરવામાં આવે છે. આ ઉપરાંત, ઘણા બાંધકામો 'ગ્રુડા' (GRUDA) કાયદા હેઠળ ઇમ્પેક્ટ ફી ભરીને નિયમિત થવાની પ્રક્રિયામાં હોય છે. જોકે, જાણકારોનું માનવું છે કે ઇમ્પેક્ટ ફીના બહાના હેઠળ ગંભીર પ્રકારના દબાણોને પણ રક્ષણ મળી રહ્યું છે.જૂનાગઢના હિતમાં હવે એ જોવું રહ્યું કે તંત્ર આ 'ચમરબંધી' બિલ્ડરો સામે લાલ આંખ કરે છે કે પછી પુરાવાઓના બહાને ફાઈલો દબાવી દેવામાં આવે છે.
ચારૂસેટમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી:‘Women in STEM’ થીમ પર રીલ્સ સ્પર્ધા યોજાઈ
ચારૂસેટ યુનિવર્સિટીના વુમન ડેવલપમેન્ટ સેલ (WDC) દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે વિદ્યાર્થીનીઓ માટે ‘WOMEN IN STEM’ થીમ પર રીલ્સ મેકિંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં CMPICAની ક્વિના પટેલે સોશિયલ મીડિયા પર સૌથી વધુ 586 લાઈક્સ મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. DEPSTARની ખુશી મરાઠે બીજા અને RPCPના ધ્યાન પટેલે ત્રીજો નંબર મેળવ્યો હતો. વિજેતાઓને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમ દરમિયાન કેળવણી મંડળના સહમંત્રી મધુબેન પટેલે પ્રાસંગિક પ્રવચન આપી મહિલાઓને પ્રોત્સાહિત કર્યા હતા. યુનિવર્સિટીના તમામ મહિલા સ્ટાફ માટે લંચ અને મનોરંજક ગેમ્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે, તમામ મહિલા કર્મચારીઓને યાદગીરી રૂપે પર્સની ભેટ અર્પણ કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજન WDC કન્વીનર ડો. ગાયત્રી દવેના માર્ગદર્શન અને ICC ચેરમેન ડો. મૃણાલિની પટેલના સહયોગથી સફળ બન્યું હતું. જેમાં ઉત્પલા મહેતા, નિશા દવે, ડો. ધાત્રી રાવલ અને ભારતી કકનાની સહિતની ટીમે મહત્વનું યોગદાન આપ્યું હતું.
ભાડેથી ગાડીઓ ફેરવવાના બહાને ફરિયાદી અને સાહેદો પાસેથી કુલ 11 જેટલી મોંઘીદાટ ફોર-વ્હીલ ગાડીઓ મેળવીને તેનું ભાડું કે ગાડીઓ પરત ન કરીને બારોબાર વેચી દેતો હતો અને આ કેસમાં નાસતા-ફરતા આરોપી અરવિંદ ઉર્ફે કરણ વાદીને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પોલીસે અડધો કિમી સુધી પીછો કરીને શખ્સને પકડ્યોઆરોપી વડોદરા શહેરના આજવા રોડ પર પરિવાર સાથે બેઠો હતો અને પોલીસને જોતા જ ભાગ્યો હતો. પોલીસે અડધો કિમી સુધી પીછો કરીને આરોપીને દબોચી લીધો હતો.પંચમહાલ જિલ્લાના હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઠગાઈના ગુનામાં આ આરોપી લાંબા સમયથી ફરાર હતો. કમલાનગર પાસેથી દબોચી લીધોવડોદરા ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. આર.જી. જાડેજા અને પી.આઈ. એચ.ડી. તુવરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.એસ. વાળાની ટીમ પ્રોપર્ટી સંબંધિત ગુનાઓના નાસતા-ફરતા આરોપીઓની શોધમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે અરવિંદ ઉર્ફે કરણ રમણભાઈ વાદી (ઉં.વ. 28, રહે. હાલ તરસાલી વુડાના મકાન, વડોદરા; મૂળ રહે. હાલોલ) ને આજવા રોડ કમલાનગર પાસેથી દબોચી લેવામાં આવ્યો હતો. 30 હજારના ભાડાની લાલચ આપી છેતરપિંડીપકડાયેલ આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તેણે ફરિયાદીને વિશ્વાસમાં લઈ અર્ટિગા ગાડીનું દર મહિને 30 હજાર રૂપિયા ભાડું આપવાનું નક્કી કરી નોટરી કરાવી હતી. આ જ રીતે અન્ય સાહેદો પાસેથી પણ ગાડીઓ મેળવી હતી. આરોપીએ કઈ કઈ કાર લઈ લીધી એમ મળી કુલ 11 ફોર-વ્હીલ ગાડીઓ ભાડે ફેરવવાના બહાને મેળવી હતી. ત્યારબાદ આરોપીએ ન તો ગાડીઓનું ભાડું ચૂકવ્યું કે ન તો ગાડીઓ પરત કરી હતી. ફરિયાદીઓ સાથે છેતરપિંડી આચરી આરોપી ફરાર થઈ ગયો હતો. આરોપીનો ગુનાહિત ઇતિહાસ ઝડપાયેલો આરોપી અરવિંદ વાદી રીઢો ગુનેગાર છે અને અગાઉ પણ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે:
ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની અસર હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે, જેના કારણે હોટલ, રેસ્ટોરન્ટ અને લારીવાળાઓ સહિતના વ્યવસાયો પર અસર પડી છે. જોકે, હોટલ સંચાલકોના મતે, હાલમાં સિલિન્ડરનો પુરવઠો ઉપલબ્ધ છે, પરંતુ ભવિષ્યની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના અનેક શહેરોમાં કોમર્શિયલ સિલિન્ડરનો પુરવઠો ખોરવાઈ ગયો હોવાના અહેવાલો છે, જેની સીધી અસર હોટલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ અને ફરસાણના કારખાનાઓ પર પડી રહી છે. હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના મતે, પાઈપ ગેસની સુવિધા ન ધરાવતા એકમોને વધુ અસર થઈ છે. અન્ય રાજ્યોમાં પણ સપ્લાય પર રોક લાગતા ઘણી હોટલો બંધ થઈ ગઈ છે, અને સુરેન્દ્રનગરમાં પણ આગામી દિવસોમાં આવી સ્થિતિ સર્જાઈ શકે તેવી આશંકા છે. સુરેન્દ્રનગરના જગદંબા પરોઠા હાઉસના પ્રવીણ રસિકભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, હાલમાં 17 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. 600નો વધારો થયો છે. યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ભાવ વધ્યા હોવા છતાં, બાટલા હાલમાં સરળતાથી મળી રહે છે. જોકે, તેમણે ચેતવણી આપી હતી કે જો આ પરિસ્થિતિ યથાવત્ રહેશે તો ભવિષ્યમાં સ્થિતિ વધુ વિકટ બની શકે છે. યશ માલકીયાએ જણાવ્યું હતું કે, તેમનો પરિવાર છેલ્લા 75 વર્ષથી હોટલ વ્યવસાય સાથે સંકળાયેલો છે અને હાલમાં ગેસના બાટલાના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે. તેમણે ચિંતા વ્યક્ત કરી કે જો આ જ પરિસ્થિતિ ચાલુ રહેશે તો નાના અને ગરીબ પરિવારોને તો અસર થશે જ, પરંતુ તેમના જેવા લોકોને પણ હોટલ વ્યવસાય બંધ કરવાની નોબત આવી શકે છે. જૈનાબાદના કોંગ્રેસ આગેવાન સિકન્દર કુરેશીએ જણાવ્યું હતું કે, ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચેના યુદ્ધના કારણે સરકારે ઘરેલુ ગેસના બાટલામાં રૂ. 60નો અને કોમર્શિયલ ગેસમાં રૂ. 115નો વધારો કર્યો છે. તેમણે આ ભાવવધારાને ગરીબ અને મધ્યમ વર્ગની કમર તોડી નાખનારો ગણાવ્યો હતો. આ ગરીબ જનતા હવે મોંઘવારીનો માર ઝીલી શકે એમ નથી, આથી સરકાર જો તાત્કાલિક ગેસનો ભાવ વધારો પાછો નહીં ખેંચે તો લોકો રસ્તા પર આવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે.
નવસારીના ગ્રીડ વિસ્તારમાં કાયાપલટ:NH-48 અંડરબ્રિજ નીચે ₹2.5 કરોડના ખર્ચે આધુનિક આઈલેન્ડ-વોક-વે બનશે
નવસારી શહેરના વ્યસ્ત ગ્રીડ વિસ્તારમાં નેશનલ હાઇવે નંબર 48 ના અંડરબ્રિજ નીચેની ખાલી જગ્યાનું સૌંદર્યીકરણ કરવામાં આવી રહ્યું છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા આ પ્રોજેક્ટ અંદાજે ₹2.5 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવ્યો છે, જે અંતર્ગત આ સ્થળને અત્યાધુનિક સુવિધાઓ સાથે સુંદર પબ્લિક સ્પેસમાં પરિવર્તિત કરાશે. આ પ્રોજેક્ટમાં ગાર્ડનિંગ અને લેન્ડસ્કેપિંગ પર ભાર મૂકી પર્યાવરણને અનુકૂળ ડિઝાઇન તૈયાર કરાઈ છે. તેમાં વોક-વે, બેઠક વ્યવસ્થા અને આધુનિક લાઈટિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે. અંડરબ્રિજના પિલર્સ અને ખાલી જગ્યાને આધુનિક આર્ટ અને ડિઝાઇન સાથે સાંકળી લેવાશે. મહાનગરપાલિકાના સૂત્રો અનુસાર, આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની 60% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. એન્જિનિયરોની ટીમ દ્વારા કામગીરીનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેથી નિર્ધારિત સમયમર્યાદામાં પ્રોજેક્ટ પૂરો કરી શકાય. ગ્રીડ વિસ્તાર નેશનલ હાઇવે સાથે જોડાયેલો હોવાથી તે નવસારીનું પ્રવેશદ્વાર સમાન છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી શહેરની ઓળખ 'સ્વચ્છ અને આધુનિક શહેર' તરીકે વધુ મજબૂત બનશે. આગામી દિવસોમાં આ સ્થળને જનતા માટે ખુલ્લું મુકવાની તૈયારીઓ ચાલી રહી છે.
રાધનપુર શહેરમાં રાંધણ ગેસ સિલિન્ડર મેળવવા માટે ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ફોન દ્વારા ગેસ બુકિંગ ન થવાને કારણે ગ્રાહકો સીધા એજન્સી પર પહોંચી રહ્યા છે, જેના પરિણામે દિવસભર લાંબી કતારો જોવા મળી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા બે દિવસથી ફોન દ્વારા ગેસ બુકિંગની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવા છતાં બુકિંગ થઈ શકતું નથી, જેના કારણે લોકોમાં નારાજગી પ્રવર્તી રહી છે. આ સ્થિતિમાં, ઘણા ગ્રાહકો સિલિન્ડર મેળવવા માટે સીધા એજન્સી પર પહોંચી રહ્યા છે, જેના કારણે લાંબી કતારો લાગી છે. સવારથી જ મોટી સંખ્યામાં લોકો ગેસ એજન્સી ખાતે ઉમટી પડતાં અવ્યવસ્થા સર્જાઈ હતી. વૃદ્ધો, મહિલાઓ અને નોકરિયાત વર્ગના લોકો પણ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા. ઘણા ગ્રાહકોએ જણાવ્યું કે એક સિલિન્ડર મેળવવા માટે પણ તેમને લાંબો સમય રાહ જોવી પડે છે. ગ્રાહકોનો આક્ષેપ છે કે એજન્સી દ્વારા વારંવાર સર્વર ડાઉન છે તેવો જવાબ આપવામાં આવે છે, પરંતુ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. આના કારણે સામાન્ય જનતાને બિનજરૂરી હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ગેસ જેવી આવશ્યક સેવાઓમાં આવી ગેરવ્યવસ્થા અસ્વીકાર્ય છે. લોકોની સુવિધા માટે ફોન અને ઓનલાઈન બુકિંગ વ્યવસ્થા સરળ અને સુલભ હોવી જોઈએ. જોકે, વર્તમાન પરિસ્થિતિમાં ગ્રાહકોને વારંવાર એજન્સીના ધક્કા ખાવા પડે છે. શહેરના નાગરિકોએ જવાબદાર તંત્રને અપીલ કરી છે કે ગેસ બુકિંગની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે. ગ્રાહકોને ગેસ સિલિન્ડર મેળવવામાં સરળતા થાય તેવી વ્યવસ્થા ઊભી કરવા અને એજન્સી ખાતે યોગ્ય વ્યવસ્થા તથા પારદર્શિતા જાળવવા પણ માંગ ઉઠી છે. આ તરફ, નૈમિષ ગેસ એજન્સી દ્વારા એક અગત્યની સૂચના પણ આપવામાં આવી છે. એજન્સીના બોર્ડ પર દર્શાવ્યા મુજબ, કંપનીના નિયમ અનુસાર છેલ્લી રિફિલ ડિલિવરી લીધાના 25 દિવસ પછી જ નવું બિલ બનશે. વહેલું બુકિંગ થયેલું હોવા છતાં બિલ નહીં બને તો કંપનીના નવા નિયમ અનુસાર જ રિફિલ મળશે. આ બાબતે સ્ટાફ સાથે બિનજરૂરી તકરાર ન કરવા પણ સૂચના અપાઈ છે.
બોરસદમાં પ્રાકૃતિક બજાર લોકપ્રિય બન્યું:ગ્રાહકોમાં હવે પ્રાકૃતિક આહાર પ્રત્યે જાગૃતિ વધી
આણંદ કૃષિ યુનિવર્સિટી અને આત્મા પ્રોજેક્ટના સહયોગથી બોરસદ ચોકડી પાસે આવેલા એટીક ભવન ખાતે શરૂ કરાયેલું પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર નગરજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દર મંગળવારે બપોરે 3 થી 6 દરમિયાન ભરાતા આ બજારમાં જિલ્લાના ખેડૂતો કોઈ પણ વચેટિયા વગર સીધું જ વેચાણ કરી રહ્યા છે. વિરસદના ખેડૂત મિહિર અમીને જણાવ્યું કે, ગ્રાહકોમાં હવે પ્રાકૃતિક આહાર પ્રત્યે જાગૃતિ વધી રહી છે અને વેચાણમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. અહીં હરી કાંગ, કોદરી, મોરૈયો અને સામો જેવા પોઝિટિવ મિલેટ્સ તેમજ કૃષ્ણ કમોદ ચોખા અને ઓર્ગેનિક મસાલાની ભારે માંગ જોવા મળી રહી છે. ખેતીમાં નવા પ્રયોગો કરનારા શિક્ષિત યુવાનો પણ આ મંચનો લાભ લઈ રહ્યા છે. બીકોમ સુધી અભ્યાસ કરી 2018થી પ્રાકૃતિક ખેતી કરતા નાગજીપુરાના પિનાકીન પટેલ અને ઝાખલાના મહેશ પટેલે જણાવ્યું કે, તેઓ ગાય આધારિત ખેતી દ્વારા પકવેલા ઘઉં, બાજરી અને શાકભાજી અહીં વેચે છે. કસુંબાડના રણજીતસિંહ ગોહિલ અને પ્રતાપપુરાના રણજીતસિંહ ચૌહાણે સરગવાનો પાવડર, મીઠા લીમડાનો પાવડર અને વિવિધ સીઝનલ શાકભાજીના વેચાણ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ કેન્દ્ર ખેડૂતો માટે આર્થિક સદ્ધરતાનું નવું માધ્યમ બન્યું છે. બીજી તરફ, નિયમિત ખરીદી માટે આવતા સુનીતાબેન અને લત્તાબેન જેવા ગ્રાહકોનું માનવું છે કે પ્રાકૃતિક શાકભાજીના ભાવ અન્ય બજાર જેટલા જ છે, પરંતુ તેનો સ્વાદ અને ગુણવત્તા ચડિયાતી છે. શુદ્ધ આહાર મળતો હોવાથી સ્વાસ્થ્ય જળવાઈ રહેવાનો વિશ્વાસ ગ્રાહકોમાં જોવા મળ્યો હતો. આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર જી.સી. ભાલોડીયાએ નગરજનોને અપીલ કરી છે કે ખેડૂતોને પ્રોત્સાહન આપવા અને પોતાના સ્વાસ્થ્યને જાળવવા વધુમાં વધુ સંખ્યામાં આ કેન્દ્રની મુલાકાત લે.
વડોદરા શહેરમાં ફાઇનાન્સ કન્સલ્ટન્ટ સાથે છેતરપીંડી અંગેનો બનાવ સામે આવ્યો છે. જેમાં 5 આરોપીઓએ વિદેશના વિઝા માટે બેંકમાં બેલેન્સ બનાવવાના બહાને તેમની પાસેથી રૂ.25 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. અનેકવાર રૂપિયા આરોપીઓ પાસે માંગ્યા હોવા છતાં પરત ન આપતાં આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. વડોદરા શહેરમાં વિદેશના વિઝા માટે બેન્કમાં બેલેન્સ બતાવવાના બહાને રૂપિયા 25 લાખની છેતરપિંડી થયાનો બનાવ સામે આવ્યો છે. વાઘોડિયા રોડ વિસ્તારમાં પ્રથમ ડુપ્લેક્સમાં રહેતા રહેતા અને ફાયનાન્સ કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા રીકેશભાઈ કનૈયાલાલ ખત્રીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ રીકેશભાઈ ખત્રી વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલ સેન્ટર પોઇન્ટ બિલ્ડિંગમાં રીકેશ ખત્રી એન્ડ કંપની નામે ફાયનાન્સ કન્સલ્ટન્સીનો વ્યવસાય કરતા હતા તેમજ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં એજ્યુકેશન લોન કાઉન્સિલર તરીકે પણ કામ કરે છે. ગત 12 નવેમ્બર 2024ના રોજ તેમના મિત્ર તેજસ કિરીટભાઈ શાહ દ્વારા સાગર જનકભાઈ પટેલ નામના વ્યક્તિ સાથે ઓળખાણ કરાવવામાં આવી હતી. સાગર જનકભાઈએ જણાવ્યું હતું કે તેમના મિત્ર સાગર અશોકભાઈ પટેલ તથા તેમની પત્ની હેમાંગીની ફિનલેન્ડમાં રહે છે અને વિઝા માટે બેન્ક ખાતામાં બેલેન્સ બતાવવાની જરૂર છે. આથી શરૂઆતમાં એક દિવસ માટે 15 લાખ રૂપિયા બેલેન્સ બતાવવાની વાત કરવામાં આવી હતી. વિશ્વાસના આધારે રીકેશભાઈએ પોતાના બેંક ખાતામાંથી વર્ષાબેન અશોકભાઈ પટેલના ખાતામાં 15 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ તે રકમ આગળ સાગર અશોકભાઈ પટેલના ખાતામાં મોકલવામાં આવી હતી અને બીજા જ દિવસે રકમ રીકેશભાઈને પરત મળી ગઈ હતી. આ કામ માટે તેમને 12 હજાર રૂપિયા લીગલ ફી તરીકે આપવામાં આવ્યા હતા. આ ઘટનાના થોડા દિવસ બાદ ફરીથી સાગર જનકભાઈ પટેલે સંપર્ક કરીને આ વખતે પાંચ દિવસ માટે 25 લાખ રૂપિયા બેલેન્સ બતાવવાની જરૂર હોવાનું જણાવ્યું હતું. વિશ્વાસ વધારવા માટે અશોકભાઈ પટેલ તથા તેમની પત્ની વર્ષાબેને ગેરંટી રૂપે ચેક પણ આપ્યો હતો. જેથી રીકેશભાઈએ 19 નવેમ્બર 2024ના રોજ પોતાના બેન્ક ખાતામાંથી વર્ષાબેનના ખાતામાં 25 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. પછી આ રકમ વર્ષાબેનના ખાતામાંથી આરટીજીએસ દ્વારા તેમની વહુ હેમાંગીનીના ઇન્ડસઈન્ડ બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. થોડા સમય બાદ રીકેશભાઈએ પોતાની રકમ પરત માગી તો આરોપીઓ વાયદા કરતા હતા. તપાસ કરતાં જાણવા મળ્યું કે હેમાંગીનીએ આ રકમ પોતાના ફિનલેન્ડના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી છે. આ બનાવમાં પાંચ મહિના વીતી ગયા છતાં ફાઇનાન્સ કન્સલ્ટન્ટે 25 લાખ રૂપિયા પરત માંગ્યા હતા. પરંતુ રૂપિયા પરત આપતાં ન હતા. આ મામલે બાપોદ પોલીસ મથકમાં સાગર પટેલ સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.
આણંદમાં 72 મહિલાઓનું સન્માન:આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી, વિવિધ ક્ષેત્રે યોગદાન બદલ બહુમાન
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આણંદ ટાઉનહોલ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદાન આપનાર 72 મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં તેમણે મહિલા સશક્તિકરણ અને સમાજ નિર્માણમાં તેમના યોગદાનની સરાહના કરી હતી. તેમણે પોલીસ અને વહીવટી તંત્રમાં ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન મહિલા અધિકારીઓને સ્ત્રી સશક્તિકરણના જીવંત ઉદાહરણ ગણાવ્યા હતા. પટેલે કેન્દ્ર અને રાજ્ય સરકારની ઉજ્જવલા, વ્હાલી દીકરી અને ગંગા સ્વરૂપા સહાય જેવી યોજનાઓને મહિલાઓના જીવનસ્તર સુધારવામાં મહત્વપૂર્ણ ગણાવી હતી. તેમણે મહિલાઓને વર્ષ 2047 સુધીમાં 'વિકસિત ભારત' બનાવવામાં સક્રિય યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં આકાંક્ષા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર અને ગાયનેકોલોજીસ્ટ ડૉ. મોલીના પટેલે જણાવ્યું હતું કે સ્ત્રી શિક્ષિત થવાથી આખું કુટુંબ શિક્ષિત થાય છે. તેમણે મહિલાઓને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા તથા યોગ્ય આહાર અને વ્યાયામ દ્વારા ગંભીર બીમારીઓ સામે સાવચેત રહેવાની સલાહ આપી હતી. સીયારામ ફાઉન્ડેશનના પ્રમુખ દીપાલીબેન ઇનામદારે 'ગિવ ટુ ગેઈન' થીમ હેઠળ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઐતિહાસિક સંદર્ભની જાણકારી આપી હતી. તેમણે ઈલાબેન ભટ્ટ અને સુધામૂર્તિ જેવા આદર્શ વ્યક્તિત્વોના ઉદાહરણ આપી મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનવા પ્રેરણા પૂરી પાડી હતી. આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારી નીલેશ્વરીબા ગોહિલે મહેમાનોનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં મહિલા ઉત્કર્ષનો સંદેશ ફેલાવતું નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું. વહીવટી ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનાર મહિલા સરપંચો અને વર્ગ-1ના અધિકારીઓ સહિતની પ્રતિભાઓનું સન્માન કરાયું હતું અને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલા બાળ સમિતિ ચેરમેન નીતાબેન સોલંકી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી રુબીસિંહ રાજપુત અને કિંજલ દેસાઈ, નાયબ ચૂંટણી અધિકારી અનિતાબેન લાછુન, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક રિદ્ધિ ગુપ્તે સહિત મોટી સંખ્યામાં મહિલા અધિકારીઓ અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા શહેરના કપુરાઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જુગાર રમતા જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. તરસાલી નવીનગરી ઝૂંપડપટ્ટીમાં ખુલ્લામાં જુગાર રમતા 6 આરોપીને પોલીસે ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી કુલ 11,751 રૂપિયાની રોકડ અને અન્ય મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ અંગે કપુરાઇ પોલીસની ટીમને બાતમી મળતા ટીમે રેડ કરી હતી. પોલીસને બાતમી મળી હતી કે, તરસાલી નવીનગરી ઝૂંપડપટ્ટીમાં કેટલાક વ્યક્તિઓ ખુલ્લામાં પૈસાના હારજીતનો જુગાર રમી રહ્યા છે જે માહિતી આધારે રેડ કરી 6 લોકોને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી રોકડ રકમ સહિત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં કપુરાઇ પોલીસે નીતિનભાઈ ઠાકોરભાઈ સોલંકી (ઉંમર 36, રહે. ડેસાઈનગર, તરસાલી તળાવ સામે, તરસાલી, વડોદરા) , તેમની જગદીશભાઈ છીતુભાઈ રાઠોડીયા (ઉંમર 24, રહે. નવીનગરી, તરસાલી બાયપાસ, વડદલા રોડ, વડોદરા), ઇમરાન ખુમાનસિંહ ગરાસીયા (ઉંમર 38, રહે. બેલીમ ફળીયું, તરસાલી ગામ, વડોદરા), સોહીલ હનીફભાઈ શેખ (ઉંમર 25, રહે. બ્લોક નં. 40, રૂમ નં. 49, સ્લમ ક્વાર્ટર્સ, તરસાલી શાક માર્કેટ સામે, વડોદરા), રીયાઝ પીરૂભાઈ શેખ (ઉંમર ૩૬, રહે. મકાન નં. 07, હરેકૃષ્ણ સોસાયટી, નવીનગરી પાછળ, વડદલા રોડ, વડોદરા), મહેમુદ અહેમદભાઈ મકરાણી (ઉંમર 31, રહે. બેલીમ ફળીયું, તરસાલી ગામ, વડોદરા) ને રંગેહાથ ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 11751નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત, જુગાર માટે વપરાતા ૫૨ પાનાના પત્તા પણ જપ્ત કરવામાં આવ્યા છે. કપુરાઇ પોલીસે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના કુબેરનગર વિસ્તારમાં આવેલા છારાનગરમાં 3 માર્ચે મોડી રાત્રે મહિલાના ઘરમાં લૂંટના ઇરાદે આવી હત્યા કરવાના કેસમાં બે આરોપીઓની સરદારનગર પોલીસ દ્વારા કરવામાં આવી છે. છારાનગર વિસ્તારમાં મજૂરી કામ કરતા બે યુવકો દ્વારા ઉત્તર પ્રદેશના આગરાથી બે માણસો બોલાવીને લૂંટના ઇરાદે મહિલાની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ આરોપીઓ રેલવે ટ્રેકથી અલગ અલગ વાહનોમાં યુપી ખાતે જતા રહ્યા હતા. સરદારનગર પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજીસના આધારે તપાસ કરી બે આરોપીઓની ધરપકડ કરી છે. મહિલાનું મૃત્યુ થઈ ગયું છે કે નહીં તે તપાસ કરવા ફરીથી એક આરોપી ઘરમાં પાછો ગયો હતો અને મહિલા મરી ગઈ છે કે કેમ એની ખાતરી કર્યા બાદ જ ત્યાંથી નીકળ્યો હતો. બાકીના બે આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. રેકી કર્યા બાદ હત્યાને અંજામ આપ્યોસરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુબેરનગર ના છારાનગર ફ્રી કોલોની ખાતે ત્રણ માર્ચના રોજ મોડી રાત્રે ભારતીબેન બજરંગે નામની મહિલાની હત્યા કરી ઘરમાં લૂંટનો બનાવ બન્યો હતો. ઘટનાની જાણ થતા સરદારનગર પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા અલગ અલગ સ્થળના સીસીટીવી ફૂટેજીસ તપાસવામાં આવ્યા હતા. જેના આધારે મૂળ આગ્રાનો રહેવાસી અને છારાનગર વિસ્તારમાં વિમલની ચાલીમાં રહેતા સ્થાનિક સોનુ સિંગ સીકરવાર આ કેસમાં સંડોવાયેલો હોવાની જાણ થઈ હતી. યુપીથી બે આરોપીઓને દબોચ્યાપોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ ઉત્તર પ્રદેશ તરફ ભાગ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સીસીટીવી ફૂટેજ ના આધારે અલગ અલગ ટીમ બનાવીને ઉત્તર પ્રદેશથી સલમાન ઉર્ફે લલ્લા અલવી સૈયદ (રહે.મુળ આગ્રા)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી સલમાનની ધરપકડ બાદ સોનુસિંગ સીકરવારની પણ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. ઉછીના પૈસા માગવાના બહાને મૃતકના ઘરની રેકી કરી હતીઝોન 4 ડીસીપી અતુલ બંસલે જણાવ્યું હતું કે ત્રણ માર્ચના રોજ ભારતીબેન બજરંગે નામના મહિલાની હત્યા કરવામાં આવી હતી જે મામલે સરદાર નગર પોલીસ સ્ટેશનના પીઆઇ શકિતસિંહ ગોહિલ અને એન. બી. કલસરીયા દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરવામાં આવી હતી જેમાં સલમાન અને સોનુ સિંગ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ચાર આરોપીઓએ ગુનાને અંજામ આપ્યો હતો સોનું અને બ્રિજ મોહન નામના બંને શખ્સ છારાનગર વિસ્તારમાં જ રહે છે અને છુટક મજૂરી કામ કરે છે. બંને આરોપીઓને લૂંટ કરવાની હોવાથી ભારતીબેન બજરંગે પોતે એકલા રહેતા હોવાથી તેમને ટાર્ગેટ કરી લૂંટ કરવાના ઇરાદે બ્રિજ મોહન નામના આરોપીએ ઉત્તર પ્રદેશના આગ્રાથી સલમાન અને શાદાબને બોલાવ્યા હતા. 24 ફેબ્રુઆરીના રોજ બંને આરોપીઓ અમદાવાદ ખાતે આવ્યા હતા અને સોનુ સિંગ સાથે રહેતા હતા. 500 રૂપિયા ઉછીના માંગવાના ઇરાદે બે માર્ચના રોજ ભારતીબેનના ઘરે રેકી કરવામાં આવી હતી. અરે રેકી કર્યા બાદ બીજા દિવસે તેમને લૂંટવાનો પ્લાન કરી ચારે લોકો રાત્રે ભારતીબેન ના ઘરે ગયા હતા. સોનુ અને બ્રિજ મોહન બંને સ્થાનિક અને ભારતીબેન ઓળખતા હોવાથી તેમનો અવાજ સાંભળી ઘર ખોલ્યું હતું. ઘર ખોલતાની સાથે જ તેઓ અંદર ગયા હતા અને માલ સામાન લેવાની વાત કરતા ની સાથે જ પાછળથી ભારતીબેનને પકડી નીચે પાડી દીધા હતા અને ઓશીકાથી મોઢું દબાવીને ભારતીબેન ને મોતને ઘાટ ઉતારી દીધા હતા. હત્યા કર્યા બાદ ચારે આરોપીઓ ત્યાંથી નીકળી ગયા હતા સીસીટીવી ફૂટેજમાં ક્યાંય પણ દેખાઈ નહીં તેના માટે આરોપીઓ દ્વારા તરકીબ અપનાવવામાં આવી હતી. સોનું અલગ રસ્તે ગયો હતો જ્યારે બ્રિજ મોહન સન્માન અને સાદાબ નામના ત્રણેય આરોપીઓ સરદાર નગર ફ્રી કોલોની પાસે આવેલા રેલ્વે ટ્રેક પરથી ધીમે ધીમે ચાલતા ચાલતા બહારના ભાગે હાઇવે પર પહોંચ્યા હતા અને ત્યાંથી અલગ અલગ વાહનોમાં બેસી રાજસ્થાનના જયપુર અને ત્યાંથી આગ્રા જતા રહ્યા હતા મહિલા મરી જ ગયા છે તે નક્કી કરવા એક આરોપી ભાગ્યા બાદ પાછો આવ્યો હતોમહિલાની હત્યા કરવાની ઘટના બાદ મૃતક ભારતીબેન મરી ગયા છે કે નહીં તેની તપાસ કરવા માટે આરોપી સોનુ સિંગ ફરીથી ભારતીબેનના ઘરમાં ગયો હતો અને ભારતીબેનના ઘરે જઈને તેઓ મરી ગયા છે કે નહીં એની ખાતરી કરી હતી. ભારતીબેન મરી ગયા છે તેની ખાતરી કરી ત્યારબાદ ત્યાંથી નીકળી ગયો હતો. સરદારનગર પોલીસ દ્વારા હાલમાં બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે જ્યારે બાકીના બે આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.
અમદાવાદ શહેરના સોલા ગામમાં ખુલ્લા પ્લોટમાં પડેલ ગાડીઓમાં આગ લાગવાનો મેસેજ ફાયર વિભાગને મળ્યો હતો. ફાયર વિભાગની વોટર ટેન્ક સહિતની કુલ 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. કચરામાં આગ લાગતા ગાડીઓમાં ફેલાઈસોલામાં આવેલા કીઆ ગાડીના સર્વિસ સ્ટેશનની આ ગાડીઓ હતી જે તેની સામે આવેલા ખુલ્લા પ્લોટમાં મૂકવામાં આવી હતી. ફાયર વિભાગના પ્રાથમિક અનુમાન અનુસાર ખુલ્લા પ્લોટમાં કચરામાં આગ લાગતા, ત્યાં પાર્ક કરેલી ગાડીઓ આગના લપેટામાં આવી ગઈ હતી. છ કાર બળીને ખાખ તો છ કારને નુકસાનઆ ઘટનામાં કુલ 6 ગાડીઓ બળીને ખાખ થઈ ગઇ હતી. જ્યારે 5થી 6 જેટલી ગાડીઓને નુકશાન થયું હતું. ફાયર વિભાગને બપોરે 1.26 કલાકે સોલામાં આવેલ મંગલમૂર્તિ પાસે આવેલા ખુલ્લા પાર્ટી પ્લોટમાં આગ લાગ્યાનો મેસેજ મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઉનાળાની શરૂઆતમાં જ અમદાવાદ શહેરમાં તાપમાન 40 ડિગ્રીની ઉપર પહોંચ્યું છે.
ડિજિટલ યુગમાં પ્રવાસનું આયોજન સરળ બન્યું છે, પરંતુ તેની સાથે સાયબર ગુનેગારોની જાળ પણ વધુ મજબૂત બની છે. તાજેતરમાં વડોદરામાં રહેતા એક મહિલા સાથે હોટલ બુકિંગના નામે મોટી છેતરપિંડી થઈ છે. જોકે, મહિલાની સમયસૂચકતા અને સાયબર નિષ્ણાતના યોગ્ય માર્ગદર્શનને કારણે તેમના બેંક ખાતામાં રહેલા 5 લાખ રૂપિયાથી વધુની રકમ બચી ગઈ છે. મિત્રના રેફરન્સથી મળેલા નંબર પર વિશ્વાસ ભારે પડ્યો મૂળ વડોદરાના મહિલા પરિવાર સાથે શ્રીનાથદ્વારા (રાજસ્થાન) ખાતે દર્શન માટે જવાની યોજના બનાવી રહ્યા હતા. હોટલ બુકિંગ માટે તેમણે કોઈ અજાણી વેબસાઈટને બદલે એક કૌટુંબિક મિત્ર પાસેથી મળેલા સંપર્ક નંબર પર વિશ્વાસ મૂક્યો હતો. તેમણે વોટ્સએપ દ્વારા તે નંબર પર સંપર્ક સાધ્યો હતો, જ્યાં સામેની વ્યક્તિએ હોટલના અધિકૃત કર્મચારી તરીકે ઓળખ આપી રૂમની તસવીરો અને દર મોકલ્યા હતા. QR કોડ અને 'ઓટો-પે'ની જાળ બુકિંગ કન્ફર્મ કરવા માટે કથિત એજન્ટે બે અલગ-અલગ QR કોડ મોકલ્યા હતા. મહિલાએ કુલ ₹3,999 ટ્રાન્સફર કર્યા હતા, પરંતુ ઠગે ટેકનિકલ કારણો આપીને ફરીથી 2,000 રૂપિયા ચૂકવવા દબાણ કર્યું હતું અને જૂની રકમ રિફંડ આપવાની લાલચ આપી હતી. આ તબક્કે શંકા જતા મહિલાએ વધુ પેમેન્ટ કરવાનો ઇનકાર કર્યો હતો. સાયબર નિષ્ણાતની એન્ટ્રી અને મોટું જોખમ ટળ્યું ઘટનાની ગંભીરતા સમજી તેમની બહેને સાયબર એક્સપર્ટ નીતિન શ્રીમાળીનો સંપર્ક કર્યો હતો. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી કે ઠગ દ્વારા તેમના ખાતામાં ઓટો પે મેન્ડેટ સેટ કરી દેવામાં આવ્યું હતું. જો આ પ્રક્રિયા સમયસર અટકાવવામાં ન આવી હોત, તો ખાતામાં રહેલા 5 લાખ રૂપિયા મિનિટોમાં સાફ થઈ ગયા હોત. હોટલનો સંપર્ક કરતા થયો પર્દાફાશ બાદમાં સાચી વેબસાઈટ પરથી નંબર મેળવી જ્યારે હોટલ મેનેજમેન્ટનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે જાણવા મળ્યું કે હોટલનો ડેટા અથવા ફોન નંબર કોમ્પ્રોમાઇઝ થયો હોવાની શક્યતા છે, કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી અન્ય પ્રવાસીઓ સાથે પણ આવા જ પ્રયાસો થયા હોવાની ફરિયાદો મળી હતી. સાયબર નિષ્ણાત નીતિન શ્રીમાળીએ જણાવ્યું હતું કે, હંમેશા 'ઝીરો ટ્રસ્ટ પોલિસી' અપનાવો. ઓળખીતા વ્યક્તિ દ્વારા અપાયેલા નંબર હોય તો પણ પેમેન્ટ કરતા પહેલા તેની સત્તાવાર ખરાઈ કરવી જરૂરી છે. QR કોડ સ્કેન કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તે પેમેન્ટ સ્વીકારવા માટે છે કે તમારા ખાતામાંથી રકમ કપાવા માટે. બચાવ માટે લેવાયેલા તાત્કાલિક પગલાં: બેંક એકાઉન્ટના તમામ ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને UPI તાત્કાલિક બ્લોક કરાવ્યા. બેંકમાં રૂબરૂ જઈ AutoPay Mandate રદ કરાવ્યું.નેશનલ સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી. નાગરિકો માટે સુરક્ષા ટિપ્સ:સત્તાવાર પ્લેટફોર્મનો ઉપયોગ: હોટલ બુકિંગ હંમેશા વેરિફાઈડ વેબસાઈટ કે એપ પરથી જ કરો. QR કોડથી સાવધાન: અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલાયેલા QR કોડ સ્કેન ન કરો.ઓટો-પે ચેક કરો: તમારા UPI એપમાં કોઈ અજાણ્યું Mandate કે AutoPay સેટ નથી થયું ને, તેની નિયમિત તપાસ કરો.ત્વરિત ફરિયાદ: છેતરપિંડીના કિસ્સામાં વિલંબ કર્યા વગર 1930 ડાયલ કરો.
જલાલપોર તાલુકા પંચાયતમાં વર્ષ 2026-27નું અંદાજપત્ર રજૂ કરવા માટે ખાસ સભા મળી હતી. આ સભામાં ભાજપ સંગઠનમાં વરણી મુદ્દે નારાજ થઈને રાજીનામું આપનાર સભ્યો પૈકી ભીનાર બેઠકના સભ્ય ચેતના પટેલ હાજર રહેતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. મીડિયાના પ્રશ્નોથી બચવા માટે તેઓ સભા છોડીને ચાલ્યા ગયા હતા. પંદર દિવસ અગાઉ જિલ્લા ભાજપ સંગઠનની જાહેરાત બાદ જલાલપોર વિધાનસભા ક્ષેત્રમાં ધારાસભ્યના નજીકના કાર્યકરની મહામંત્રી તરીકે પસંદગી ન થતા વિવાદ સર્જાયો હતો. આ નારાજગીમાં 50થી વધુ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા હતા, જેમાં તાલુકા પંચાયતના 6 સભ્યોનો પણ સમાવેશ થતો હતો. બજેટ સભામાં હાજર રહેલા ચેતના પટેલે મીડિયાના પ્રતિનિધિઓને જોતા જ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા. મીડિયાએ તેમને રાજીનામું આપ્યા છતાં સભામાં હાજર રહેવા અંગે પ્રશ્ન કર્યો ત્યારે તેમણે કોઈ સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું. તેઓ 'બીજા સભ્ય હેમલતાબેનને લઈને આવું છું' તેમ કહીને સભાખંડની બહાર નીકળી ગયા હતા અને પરત ફર્યા નહોતા. તાલુકા પંચાયત પ્રમુખ નીલમબેન પટેલે આ વિવાદ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, તેમને કોઈ પણ સભ્યનું રાજીનામું રૂબરૂ કે લેખિતમાં મળ્યું નથી. તેમણે ઉમેર્યું હતું કે જ્યાં સુધી તેમના હાથમાં રાજીનામા ન આવે ત્યાં સુધી તેઓ કશું કહી શકે નહીં. પ્રમુખે ભારપૂર્વક કહ્યું કે તેમના માટે તમામ સભ્યો સમાન છે અને સભાની કાર્યવાહી નિયમ મુજબ જ ચાલી રહી છે. સભામાં વર્ષ 2025-26નું સુધારેલું અને 2026-27નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. અંદાજપત્ર મુજબ, ઉઘડતી સિલક ₹ 20,93,76,640, અંદાજિત આવક ₹ 69,57,10,500, અંદાજિત ખર્ચ ₹ 67,69,89,500 અને બંધ સિલક ₹ 22,80,97,640 દર્શાવવામાં આવી હતી. વિકાસના કામો અંગે વાત કરતા પ્રમુખે જણાવ્યું કે, મોટાભાગના કામો પૂર્ણ થયા છે. હોળીની રજાઓને કારણે મજૂરોની અછત હોવાથી અમુક કામોમાં વિલંબ થયો છે, જે ટૂંક સમયમાં પૂર્ણ કરી દેવામાં આવશે. વિપક્ષી સભ્યો દ્વારા ઉઠાવવામાં આવેલા પેન્ડિંગ કામોના મુદ્દે તેમણે ઉમેર્યું કે ચોક્કસ કયા કામો બાકી છે તેની વિગતવાર રજૂઆત કરવામાં આવશે તો તેનો નિકાલ લાવવામાં આવશે.
અમદાવાદ શહેરના વ્યસ્ત ગણાતા પાલડી વિસ્તારમાં આજે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં આવેલી ફાલ્કન ટ્રાવેલ્સની ઓફિસમાં એક અજાણ્યા પાર્સલમાં અચાનક ભેદી ધડાકો થતા અફરાતફરી મચી ગઈ હતી. આ ધડાકો એટલો તીવ્ર હતો કે ઓફિસના બોર્ડ અને અન્ય ફર્નિચરને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી પ્રાપ્ત થયા નથી. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે. પાર્સલ ક્યાંથી આવ્યું હતું અને તેની અંદર એવી કઈ વસ્તુ હતી જેના કારણે આ ધડાકો થયો, તે હાલ તપાસનો વિષય બન્યો છે. એફ.એસ.એલ. (FSL) ની ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે જેથી પાર્સલમાં રહેલા વિસ્ફોટક કે કેમિકલના અંશો જાણી શકાય.
બનાસકાંઠાના પાંથાવાડા નજીક ગુંદરી હાઈવે પર આજે (11 માર્ચે ) બપોરે 2 વાગ્યાની આસપાસ ભયાનક અકસ્માત સર્જાયો હતો. ભેરૂનાથ હોટેલ પાસે ટેન્કરની ટક્કરે બાઈક સવાર બે વિદ્યાર્થીના ઘટનાસ્થળે જ મોત થયા છે. ધોરણ-12 બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા હતા ત્યારે બંન્ને વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો હતો. મૃતક વિદ્યાર્થીઓની ઓળખ સાતસણ ગામના લાલાભાઈ વિહાભાઈ ચૌધરી (ઉંમર 17 વર્ષ) અને ગુંદરી ગામના હરેશસિંહ શેરસિંહ રાજપૂત (ઉંમર 17 વર્ષ) તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, પૂરપાટ ઝડપે આવી રહેલા ટેન્કરે બાઈક પર સવાર બંને વિદ્યાર્થીઓને અડફેટે લીધા હતા, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમનું ઘટનાસ્થળે જ અવસાન થયું હતું. અકસ્માતના સમાચાર મળતા જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પાંથાવાડા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાંથાવાડા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ કરૂણ દુર્ઘટનાને પગલે બંને વિદ્યાર્થીઓના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. સમગ્ર પંથકમાં પણ શોકનું વાતાવરણ સર્જાયું છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ રોડ પર વારંવાર અકસ્માતો થાય છે અને અગાઉ પણ તેને 'અકસ્માત ઝોન' જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
AAPમાંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડાએ કિસાન સંકલ્પ યાત્રાની જાહેરાત કરી છે. 19થી 24 માર્ચ સુધી કિસાન સંકલ્પ યાત્રા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કિસાન યાત્રા યોજવાનું આયોજન કર્યું છે. છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે, રાજુ કરપડા AAP સાથે છેડો ફાડ્યા બાદ ભાજપમાં જોડાઈ શકે છે પરંતુ, અન્ય કોઈ પાર્ટી સાથે જોડાવાના બદલે રાજુ કરપડાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ખેડૂતોને સાથે લઈને ખેડૂતોના મુદ્દે મોરચો માંડવાની જાહેરાત કરી દીધી છે તેમજ અન્ય કોઈ પાર્ટી સાથે જોડાવવું કે પછી અલગ મોરચો ખોલવો તે બાબતે કિસાન યાત્રા બાદ નિર્ણય લેવાઈ શકે છે. બિન રાજકીય ખેડૂતોની યાત્રા અને સભા સૌરાષ્ટ્રમાં યોજવાનું આયોજનભૂતકાળમાં ન થઈ હોય એવી બિન રાજકીય ખેડૂતોની યાત્રા અને સભા સૌરાષ્ટ્રમાં યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. 11 જેટલી મોટી સભાઓ યોજવાની પણ જાહેરાત કરવામાં આવી છે. તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં મોટા ફેરફાર થવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. તેમજ અન્ય પાર્ટી જોડાવું કે પછી ખેડૂતોનો અલગ મોરચો ખોલવો તે મુદ્દે પણ 24 પછી નિર્ણય કરવાની તૈયારી બતાવવામાં આવી છે. તેમજ આમ આદમી પાર્ટી છોડ્યા બાદ રાજુ કરપડાએ પાર્ટી અને તેના નેતાઓ પર તીખા પ્રહાર કર્યા હતા. આમ આદમી પાર્ટી છોડ્યા ખેડૂતો વચ્ચે દિવસ ઉભી કરવા માટે આમ આદમી પાર્ટીએ અને ગોપાલ ઇટાલીયાએ બદનામ કરવાનું ષડયંત્ર કર્યું હોવાનો પણ રાજુ કરપડાએ આક્ષેપ કર્યો છે. AAPએ 20 મિનિટમાં રાજુ કરપડાને ગદ્દાર ચીતરવા માટેના પોસ્ટર તૈયાર કર્યાનો આક્ષેપઆમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા રાજુ કરપડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં રાજકારણમાં કેટલાક મહિનાથી ઘણા બધા ફેરફાર જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ખેડૂતોના મુદ્દે રાજકીય પાર્ટીઓ મેદાને આવી છે. હું જે પાર્ટીમાં હતો ત્યાં મેં ખેડૂતો માટે કામ કર્યું, વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે દોઢ મહિનો ત્યાં રોકાયો હતો. પરિવારથી દૂર વિસાવદરમાં રહીને પરસેવો પાડ્યો અને પરિણામ પણ મેળવ્યું હતું. આમ આદમી પાર્ટી છોડી પાંચ વર્ષ મહેનત કરી અને આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ દ્વારા 20 મિનિટમાં રાજુ કરપડાને ગદ્દાર ચીતરવા માટેના પોસ્ટર તૈયાર કરી અને વાઈરલ કરવામાં આવ્યા. આમ આદમી પાર્ટીએ આભાર માનવાના બદલે ખરાબ ચીતરવા માટે અને ખેડૂતોની વચ્ચે ખરાબ બતાવવા માટે આમ આદમી પાર્ટીએ પ્રયાસ કર્યા હતા. મારા આખા પરિવારને બદનામ કરવાના પ્રયાસ કરવામાં આવ્યાગોપાલ ઇટાલીયા પર પ્રહાર કરતા રાજુ કરપડાએ જણાવ્યું હતું કે, દુઃખ તો ત્યારે થયું કે જે ગોપાલ ઇટાલીયાને જીતાડવા માટે તનતોડ મહેનત કરી તે ગોપાલ ઇટાલીયા મીડિયા સામે 10 વર્ષ જુના કેસની ફરિયાદની કોપી લઈને આવ્યા હતા. માત્ર મારા પર જ નહીં પરંતુ, મારા આખા પરિવાર પર ગોપાલ ઇટાલીયા આક્ષેપ કર્યા હતા. મને બદનામ કરવાની સૌથી વધુ કોશિશ જો કોઈએ કરી હોય તો તે આમ આદમી પાર્ટીના એક બે નેતા અને પ્રદેશના કાર્યકર્તાઓ અને તેમજ પ્રદેશ સોશિયલ મીડિયાનું જે કામ સંભાળે છે તે લોકોએ કર્યું છે. ખેડૂતોનો મારા પ્રત્યે જે પ્રેમ હતો, તેની વચ્ચે દીવાલ ઊભી કરવા માટે ષડયંત્ર કરીને રાજુ કરપડા ડરીને ભાગી ગયા, તેમની 56ની છાતી નથી એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. રાજકીય પાર્ટીઓ ખેડૂતોને હાથો બનાવી તેનો ઉપયોગ કરી રહી છેઆમ આદમી પાર્ટીની યાત્રાનો ફિયાસ્કો થયો હોવાનું કહી રાજુ કરપડાએ જણાવ્યું હતું કે, આપ આદમી પાર્ટી દ્વારા ખેડૂતો માટે સૌરાષ્ટ્રમાં યાત્રા કાઢવામાં આવી હતી. જે યાત્રાનો ફિયાસ્કો થયો છે તે જ બતાવે છે કે, ખેડૂતોએ આમ આદમી પાર્ટીથી મોઢું ફેરવી લીધું છે. આ બાદ મેં પાર્ટીમાં ખેડૂતોના નામે રાજનીતિ થઈ રહી છે અને ખેડૂતોના નામે રાજનીતિ રોટલા શેકાઈ રહ્યા છે. મારા ખેડૂતોના નામે જો કોઈ રાજનીતિ કરી રહ્યા હોય તો તેની સચ્ચાઈ લોકો વચ્ચે લઈ જવી જરૂરી છે. જે આમ આદમી પાર્ટી ખેડૂતોનું દેવું માફ કરવાની વાત કરી રહી છે તે જ પાર્ટી પંજાબમાં કેમ દેવું માફ કરી શકતી નથી? દેશમાં સૌથી વધુ જો ખેડૂતો પર દેવું હોય તો તે પંજાબમાં છે. આમ આદમી પાર્ટીના ચાવવાના અને દેખાડવાના દાંત જુદા-જુદા છે. પંજાબમાં MSP પર 13 મહિનાથી ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા. તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. તમામ રાજકીય પાર્ટીઓ ખેડૂતોને હાથો બનાવી તેમનો ઉપયોગ કરી રહી છે. સૌરાષ્ટ્રમાં આવનાર દિવસોમાં ખેડૂતો સંગઠિત જોવા મળશેઆગામી યાત્રાને લઈને રાજુ કરપડાએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, જેથી આગામી 19 તારીખથી 24 તારીખ સુધી કિસાન સંકલ્પ યાત્રાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. જે તુલસી શ્યામથી સાવરકુંડલા, અમરેલી, બગસરા, ધારી, વિસાવદર, માળીયા, હાટીના, જામનગર, મોરબી, રાજકોટ, જસદણ થઈને સુદામડા ગામે 24 તારીખે યાત્રાનું સમાપન કરવામાં આવશે. આ યાત્રા દરમિયાન ખેડૂતોના પડતર પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે લાવી શકાય ? આગામી કોઈ પાર્ટી સાથે જોડાવવું કે, ખેડૂતો માટે અલગ જ રણનીતિ તૈયાર કરી અલગ મોરચો ખોલવો તે તમામ બાબત પર ચર્ચા કરવામાં આવશે અને મહત્વના નિર્ણય પણ લેવામાં આવશે. ગુજરાતના ઇતિહાસમાં ક્યારે પણ ખેડૂતોને સંગઠિત નહીં જોયા હોય તેવી રીતે સૌરાષ્ટ્રમાં આવનાર દિવસોમાં ખેડૂતો સંગઠિત જોવા મળશે. ખેડૂતોની ભૂતકાળમાં ન જોવા મળી હોય એવી મોટી સભા જોવા મળશેવધુમાં રાજુ કરપડાએ જણાવ્યું હતું કે, અમારી પાસે કોઈપણ પ્રકારનું કાળું નાળું નથી, અન્ય રાજ્યમાંથી અમારી પાસે પૈસા પણ આવતા નથી. જેથી ખેડૂતો અને સામાજિક આગેવાનોએ આગળ આવવું જોઈએ. જ્યાં સભા અને યાત્રા આવે છે ત્યાં ખેડૂતો નાનું મોટું યોગદાન આપીને સ્વખર્ચે વ્યવસ્થા કરે તેવી અમે વિનંતી કરીએ છીએ. ખેડૂતોનું મજબૂર સંગઠન બનાવીને આગામી સમયમાં ફરી સામે આવીશું. જે લોકોની કથળી અને કરણીમાં તફાવત છે તે લોકોને ખુલ્લા પાડીશું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં સૌરાષ્ટ્રમાં ખૂબ મોટી ઉથલ પાથલ જોવા મળશે. બિન રાજકીય રીતે કોઈ ખેડૂતોની ભૂતકાળમાં ન જોવા મળી હોય તેવી મોટી સભા જોવા મળશે. તમામ જિલ્લા અને તાલુકામાં 5- 5 જેટલી ટીમ બનાવવામાં આવી છે. ખેડૂતોનું સંગઠન મજબૂત બનાવવા માટે આ યાત્રા યોજવામાં આવશે. 11 જેટલી ખેડૂતોની મોટી સભા યોજવામાં આવશે, તેમજ અલગ અલગ મિટિંગ પણ કરવામાં આવશે. રાજુ કરપડાનું ભવિષ્ય ખેડૂતોએ લખ્યું છે, આવનાર સમયમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.

29 C