વડોદરાના સયાજીગંજ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ખાખીને લાંછન લગાડતી એક ઘટના સામે આવી છે. નંબર પ્લેટ વગરની ગાડી બાબતે થયેલી બોલાચાલીમાં પોલીસકર્મીઓએ એક યુવક સાથે અમાનવીય વર્તન કર્યું હોવાના આક્ષેપો થયા છે. ઈજાગ્રસ્ત યુવકના જણાવ્યા મુજબ, પોલીસે તેને પોલીસ વેનમાં બેસાડીને ઢોર માર માર્યો હતો અને ત્યારબાદ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં લઈ જઈ ACP અને અન્ય કોન્સ્ટેબલોએ તેને જાનવરની જેમ દંડા વડે ફટકાર્યો હતો. આટલું જ નહીં, યુવકે એવો પણ આક્ષેપ કર્યો છે કે તેને સુવડાવી, છાતી પર ચઢીને તેના ગુપ્ત ભાગોમાં પણ ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી છે. બીજી તરફ ટ્રાફિક એસીપી ડી.એમ. વ્યાસે જણાવ્યું હતું કે, યુવકે પોલીસનો કોલર પકડી લીધો હતો. તે દરમિયાન પોલીસે બે દંડા માર્યા હશે. પરંતુ તે વધુ ઉગ્ર બનતો હતો જેથી સયાજીગંજ લાવ્યા હતા. અકોટા બ્રિજ શનિદેવ મંદિર પાસે ત્રણ પોલીસકર્મી ઉભા હતાવડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા કૌશલસિંહ વિજેન્દ્રસિંહ જાટ (ઉં.વ.30) આજે સવારના સમયે બુલેટ લઇને દાંડિયા બજાર ચાર રસ્તા પાસેથી પસાર થયા હતા. દરમિયાન અકોટા બ્રિજ શનિદેવ મંદિર પાસે સયાજીગંજ વિસ્તારમાં આવેલી પશ્ચિમ વિભાગ ટ્રાફિક કચેરીમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓ ત્યાં ઉભા હતા. યુવકના બૂલેટને નંબર પ્લેટ ન હતી અને મોડીફાઈડ સાયલેન્સર પણ લગાવેલું હતું. જેથી યુવક પર દંડ ભરવા માટે રાજી હોવા છતાં ત્રણ પોલીસકર્મી તેની સાથે દાદીગીરી કરવા લાગ્યાં હતા અને ચાવી લઇ લીધી હોવાનો આક્ષેપ ચાલકે કર્યો છે. પોલીસની હાજરીમાં લાકડાના ફટકા મારતા ચામઠા પડી ગયાપોતાની ખાખી વર્દીનો રોફ ઝાડીને યુવક પર જાણે કોઇ ગંભીર ગુનો આચર્યો હોય તેમ લાકડીથી ઢોર માર મારીને તેના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. યુવકને ત્રણ પોલીસ કર્મચારીએ માર મારતા પોલીસ વેનમાં બેસાડી દીધો હતો અને તેને સયાજીગંજ વિસ્તારમાં આવેલી ટ્રાફિક શાખાના કચેરીમાં લઇ ગયા હતા. ત્યાં લઈ જઈને પોલીસ અધિકારીની હાજરીમાં લાકડીના ફટકા મારતા તેના શરીર પર ચામઠા પડી ગયા હતા. આટલેથી સંતોષ નહીં થતા આ પોલીસ કર્મચારીઓએ યુવકના પ્રાઇવેટ પાર્ટ પર પણ માર માર્યો હતો. ત્યારે યુવકે માર મારનાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવવા માટે યુવકના પરિવારે તૈયારી બતાવી છે. 'હું ઓફિસ પહોંચ્યો અને મારા ગાર્ડને સમજાવીને તેને લાવવાનું કહ્યું'આ મામલે ટ્રાફિક એસીપી ડી.એમ. વ્યાસે જણાવ્યું હતું કે, આ ઘટનામાં હું જાતે ગાડીમાં હતો, તે ગાડીને નંબર પ્લેટ ન હતી, મોડીફાઈડ સાઇલેન્સર હતું અને હેલ્મેટ પણ ન હતું અને મોબાઈલ પર વાત કરતો હતો. મેં મારા કમાન્ડોને તેની પાછળ બેસાડ્યો અને કાર્યવાહી માટે કહ્યું, પરંતુ તે તું-તારી કરતો હતો. હું ઓફિસ પહોંચ્યો અને મારા ગાર્ડને સમજાવીને તેને લાવવાનું કહ્યું હતું, પરંતુ અમે રાહ જોઈ તેમ છતાં તે આવ્યો નહીં એટલે મેં મારા ડ્રાયવરને કહ્યું કે. તું કોલ કર તો તે કોલ કરતા તેઓએ જણાવ્યું કે, આ ચાલક આવતો નથી અને માથાકૂટ કરે છે. 'પોલીસનો કોલર પકડી લીધો હતો જેથી પોલીસે બે દંડા માર્યા હશે'વધુમાં કહ્યું કે, વાત વાતમાં ઝપાઝપી થઈ હતી અને પોલીસનો કોલર પકડી લીધો હતો. દરમિયાન પોલીસે બે દંડા માર્યા હશે, પરંતુ તે વધુ ઉગ્ર બનતો હતો જેથી સયાજીગંજ લાવ્યા હતા અને ત્યારબાદ તેના માતા-પિતા અને ભાઈ આવ્યો હતો. જેઓ તું-તારી કરતા હતા. આ પછી તે સયાજી હોસ્પીટલમાં દાખલ થઈ ગયો હતો. આ બાબતે અમે તેની સામે ફરિયાદ નોંધી કાર્યવાહી કરીશું.
અમરેલીના સાવરકુંડલાના બિલ્ડર પુત્ર રવિ સુરેશભાઈ પાનસુરીયા ત્રણ દિવસથી ગુમ થયા છે. વ્યાજખોરોના ત્રાસથી ગુમ થયાના આરોપ બાદ, આ કેસમાં નામ સામેલ ગોધરા સ્થિત જય જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલે અને તેમના વકીલે ખુલાસો આપ્યો છે. દીક્ષિત પટેલે જણાવ્યું કે, તેમણે રવિ પાનસુરીયાને વ્યાજે રકમ આપી હોવાની વાત પાયાવિહોણી છે. તેમણે સ્પષ્ટતા કરી કે, આ રકમ વ્યાજે નહીં, પરંતુ મિલકતમાં રોકાણ માટે આપવામાં આવી હતી. 5.75 કરોડના મલ્ટીપ્લેક્સના સોદા પેટે તેમને અને તેમની પત્નીના એકાઉન્ટમાં 3.6 કરોડ રૂપિયા પાછા મળ્યા છે. દીક્ષિત પટેલના જણાવ્યા અનુસાર, વર્ષ 2021 દરમિયાન તેમની પત્ની, બહેન અને બનેવીએ શ્રી સિદ્ધેશ્વર ગ્રુપ સાથે રોકાણ કર્યું હતું. તેમણે દાવો કર્યો કે, રકમ પરત માંગવા બાબતે તેમને ધમકી પણ મળી હતી કે, જો કોઈ કાર્યવાહી કરશો તો હું આ પ્રકારનું પગલું ભરીશ. દીક્ષિત પટેલે ઉમેર્યું કે, તેમની પાસે મિલકત ભાગીદારીના તમામ પુરાવા છે અને રોકાણની રકમ પરત ન આપવી પડે તે માટે આવા પ્રોપગેન્ડા ઉભા કરીને તેમને ધમકાવવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે, સાવરકુંડલાના વતની અને હાલ વડોદરા સ્થાયી રવિ સુરેશભાઈ પાનસુરીયા 31મી તારીખની રાત્રે ગુમ થયા હતા. તેમના પરિવારે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુમ થયા અંગે લેખિત અરજી આપી છે. રવિ પાનસુરીયાએ વ્યાજખોરોના ત્રાસથી પગલું ભર્યા હોવાનું દર્શાવતી સુસાઇડ નોટ લખી અને વીડિયો બનાવી ગુમ થયા છે. પોલીસ અરજીમાં ગોધરા સ્થિત જય જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલ સહિત 16 લોકો પાસેથી 11 કરોડ 25 લાખ રૂપિયા વ્યાજે લીધા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
હિંમતનગર નાગરિક સહકારી બેંકના 13 ડિરેક્ટરોની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. કુલ 61 ઉમેદવારી પત્રોમાંથી 59 માન્ય ઠર્યા છે, જ્યારે બે ઉમેદવારી પત્રો અમાન્ય જાહેર કરવામાં આવ્યા છે. બેંકના સૂત્રો અનુસાર, શનિવારે સાંજે 4 વાગ્યે ઉમેદવારી પત્રોની ચકાસણી શરૂ કરવામાં આવી હતી. સામાન્ય વિભાગમાં 42, અનુસૂચિત જાતિ વિભાગમાં 10 અને મહિલા વિભાગમાં 7 ઉમેદવારી પત્રો માન્ય ઠર્યા હતા. મહિલા વિભાગમાંથી એક અને સામાન્ય વિભાગમાંથી એક ઉમેદવારી પત્ર અમાન્ય જાહેર કરાયું હતું. દરમિયાન, કેટલાક સભાસદોએ ભરાયેલા ઉમેદવારી પત્રો સામે વાંધા અરજીઓ રજૂ કરી હતી. આ મામલે બેંકના ચૂંટણી અધિકારીએ વકીલોની સલાહ લીધી છે અને વાંધા રજૂ કરનારાઓને જવાબ આપવાની કાર્યવાહી હાથ ધરી છે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ 5 જાન્યુઆરી છે. આ તારીખ પછી ચૂંટણીમાં ઉમેદવારોનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે.
અમરેલીમાં ભાજપના ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરિયાના પુત્ર રવિ પાનસુરિયા 4 દિવસ પહેલા વ્યાજખોરના ત્રાસથી લાપતા થયો છે. સુરેશ પાનસુરિયાનો પુત્ર 31મી ડિસેમ્બરે સ્યુસાઈડ નોટ લખીને ગુમ થયો છે. પોલીસે તેની શોધખોળ માટે તપાસ શરૂ કરી દીધી છે. આ દરમિયાન આ કેસમાં જેની સામે આક્ષેપ થયા છે, એ દિક્ષિત પટેલ આજે વડોદરામાં પ્રેસ કોન્ફરન્સ યોજીને રવિ અને તેના પિતા સુરેશ પાનસુરીયા સામે આક્ષેપો કર્યા છે. અમરેલી જિલ્લામાં ચર્ચામાં આવેલા રવિ પાનસુરીયા ગુમ થવાના મામલામાં એક નવો ટ્વિસ્ટ સામે આવ્યો છે. અમરેલીના જાણીતા બિલ્ડર તેમજ અમરેલી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયાના પુત્ર રવિ પાનસુરીયા ગુમ થયાના આક્ષેપના કેન્દ્રમાં રહેલા દિક્ષિત પટેલે મીડિયા સમક્ષ મોટો ખુલાસો કર્યો છે. દિક્ષિત પટેલે આરોપ મૂક્યો છે કે, રવિ પાનસુરીયાએ તેઓને ફસાવવા માટે જાણીજોઈને અંતિમ ચિઠ્ઠી (સુસાઇડ નોટ અથવા અંતિમ પત્ર)માં તેમનું નામનો ઉલ્લેખ કર્યો છે. રવિ અને તેના પિતા સુરેશ પાનસુરીયા સહિતની ટોળકીએ તેની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. તેમણે વડોદરામાં આવેલી સાઇટમાં દિક્ષિત પટેલે રોકાણ કર્યું હતું. જેમાં સિદ્ધાર્થ પેરેડાઇઝ અને સિદ્ધેશ્વર પેરેડાઇઝ પ્રોજેક્ટમાં રૂ. 6.83 કરોડનું રોકાણ કર્યું હતું. આ મિલ્કતને સુરેશ અને રવિ પાનસુરીયાએ ખોટી સહીઓ કરીને વેચી દીધી હોવાનો આરોપ છે. આ મામલે દિક્ષિત પટેલે હરણી પોલીસ મથકમાં સુરેશ અને રવિ વિરુદ્ધ અરજી કરી હતી, જેની તપાસ છેલ્લા ચાર મહિનાથી ચાલી રહી છે અને હવે તે પૂર્ણતાના આરે છે. FIR નોંધાવાના ડરથી રવિ પાનસુરીયા ગુમ થયા હોવાનો દાવો દિક્ષિત પટેલે કર્યો છે..તેમણે એમ પણ કહ્યું છે કે, રવિ પાસેથી તેમના રૂપિયા પરત મેળવવાના હતા, પરંતુ તેઓ આપતા ન હતા. તેથી જ તેમને ફસાવવા માટે આ ચિઠ્ઠીમાં નામ લખાવ્યું છે. દિક્ષિત પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, તેમણે કોઈ વ્યાજ લીધું નથી અને વ્યાજ માટે કોઈ ધમકી પણ આપી નથી. ઉલ્લેખનીય છે કે, દિક્ષિત પટેલ ગોધરાના બહુચર્ચિત NEET કાંડમાં પણ આરોપી છે અને હાલ જામીન પર મુક્ત છે. ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરિયાનો પુત્ર રવિ પાનસુરિયા વ્યાજખોરોના ત્રાસથી ગુમ થયો હોવાની પોલીસમાં અરજી થઈ છે. 31મી ડિસેમ્બરે રાત્રે સ્યુસાઈડ નોટ લખીને રવિ ગુમ થયો હતો. રવિએ ગોધરા નીટ કાંડના દિક્ષિત પટેલ સહિત 16 લોકો પાસેથી 11.25 કરોડ રૂપિયા વ્યાજે લીધા હતાં. 4.90 કરોડની મિલકત અને 3.38 કરોડ રૂપિયા આરટીજીએસથી તેણે ચૂકવ્યા હતાં. વ્યાજખોરોએ માત્ર 2.97 કરોડની સામે 15 કરોડની ઉઘરાણી કરી હતી. વ્યાજખોરો દ્વારા થતી પઠાણી ઉઘરાણીનો વીડિયો વાયરલ થયો હતો. 31મી ડિસેમ્બરની રાત્રે રવિ ઘરેથી નીકળ્યો તે સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. ગુમ થયેલા રવિ પાનસુરિયાની પોલીસે શોધખોળ હાથ ધરી છે. ગોધરા નીટ કાંડના દીક્ષિત પટેલ સહિતના 16 જેટલા વ્યાજખોરોના ત્રાસથી રવિ પાનસુરીયા ગુમ થયો હોવાનો આરોપ લગાવાયો છે. આ મામલો હવે રાજકીય અને આર્થિક છેતરપિંડીના આરોપો સાથે વધુ ગંભીર બની રહ્યો છે. પોલીસ તપાસમાંથી આગળની કડીઓ સામે આવે તેવી શક્યતા છે. આ ઘટના અંગે વધુ વિગતો સામે આવશે તેની રાહ જોવાઈ રહી છે.
સાબરકાંઠા જિલ્લા રોલ ઓબ્ઝર્વર અને પ્રભારી સચિવ ડૉ. ટી. નટરાજનએ સાબરકાંઠા જિલ્લાની મુલાકાત લીધી હતી. તેમણે 27-હિંમતનગર વિધાનસભા મતવિભાગના હાજીપુર અને બોરિયા ખુર્દ ખાતેના મતદાન મથકોની મુલાકાત કરી હતી. આ ઉપરાંત, હિંમતનગર કલેક્ટર કચેરી ખાતે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. ડૉ. નટરાજનએ હાજીપુર અને બોરિયા ખુર્દના મતદાન મથકો પર બૂથ લેવલ ઓફિસર (BLO)ની કામગીરીનું નિરીક્ષણ કર્યું અને તેમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું. કલેક્ટર કચેરી ખાતેની બેઠકમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારના મતદાર નોંધણી અધિકારીઓ અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી અને જરૂરી સૂચનો અપાયા. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી રાજેશ ચૌહાણ, તમામ નોંધણી અધિકારીઓ, મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને જિલ્લા ચૂંટણી વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. શનિવારે સવારે 10 થી સાંજના 5 દરમિયાન સાબરકાંઠા જિલ્લાના મતદાન મથકો પર BLO દ્વારા ખાસ ઝુંબેશ અંતર્ગત કુલ 3522 ફોર્મ પ્રાપ્ત થયા હતા. જેમાં ફોર્મ-6 માટે 1792, ફોર્મ-7 માટે 258 અને ફોર્મ-8 માટે 1472 ફોર્મનો સમાવેશ થાય છે. ફોર્મ-6A માટે કોઈ ફોર્મ આવ્યું ન હતું. અત્યાર સુધીમાં કુલ 12770 ફોર્મ આવ્યા છે. આ ખાસ ઝુંબેશનો આવતીકાલે છેલ્લો દિવસ છે.
રાજકોટમાં 6 માસની બાળકીનું અચાનક મૃત્યુ થતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. રાત્રિના માતાનું દૂધ પીધા બાદ સવારે રડતી દીકરીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી અને આ દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું તબીબોએ જાહેર કર્યુ. રાજકોટ શહેરના એરપોર્ટ રોડ ઉપર એવ્યસન સોસાયટી બ્લોક નંબર - 22 માં રહેતા ભાવેશભાઈ નાગરની 6 માસની પુત્રી હેતાંશી ગત તા.2 જાન્યુઆરીના રાત્રિના સમયે માતાનું દૂધ પી સૂઈ ગઈ હતી. જે બાદ તા.3 જાન્યુઆરીના વહેલી સવારે 6 વાગ્યે દીકરીનો રડવાનો અવાજ આવતા તેને સારવારમાં અમૃતા ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જે બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે ફરજ પરના તબીબે જોઈ તપાસી તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યુ હતુ. માસૂમ બાળકીના મોતથી પરિવાર પર જાણે આભ તૂટી પડયું હતુ. આ અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બાળકીનું મૃત્યુ થયુ હોવાની નોંધ થઈ છે. રાજકોટથી સગીરાનુ અપહરણ કરી દુષ્કર્મ આચરતો શખ્સ સુરતથી ઝડપાયો રાજકોટ શહેરમાંથી સગીરાને લલચાવી ફોસલાવી લગ્નની લાલચે ભગાડી જતા નામચીન શખ્સને પેરોલ ફર્લો ટીમે સુરતથી પકડી પાડી સગીરાને મુક્ત કરાવી હતી. આરોપીને માલવીયાનગર પોલીસને સોંપતા હવે અપહરણના ગુનામાં દુષ્કર્મની કલમ ઉમેરવા તજવીજ હાથ ધરાશે.માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સગીરાના અપહરણના ગુનામાં 17 વર્ષની સગીર દિકરીને અજાણ્યો શખ્સ અપહરણ કરી લઈ ગયો હોવાની ફરીયાદ દાખલ થઈ હતી.જે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનીટની ટીમે ટેકનીકલ એનાલીસીસના આધારે ભોગ બનનાર સુરત ખાતે હોવાની પ્રાથમીક માહિતી મળતા પોલીસ ત્યાં પહોંચી હતી અને સુરતથી સગીરા અને આરોપી યશ ત્રિવેદી મળી આવ્યા હતા. જેથી માલવીયાનગર પોલીસ મથકને સોંપવામાં આવ્યા હતા.વધુમાં પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, આરોપી યશ ત્રિવેદી કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારનો રહેવાસી છે. સગીરાના ફઈબા તે વિસ્તારમાં રહેતા હોય જેથી સગીરા ત્યાં અવારનવાર આટો મારવા જતી હતી ત્યારે આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં પ્રદ્યુમનપાર્ક સહિતના સ્થળોએ બંને મુલાકાતો કરતા હતા. બાદમાં દોઢ મહિના અગાઉ સગીરાને લગ્નની લાલચ આપી તેના ઘરેથી ભગાડી જઈ બંને સુરત જતા રહ્યા હતા. જનાના હોસ્પિટલના મહિલા સફાઈ કામદારના ઘરમાંથી રૂ.5.50 લાખની ચોરી શહેરની જનાના હોસ્પિટલના મહિલા સફાઈ કામદારના ઘરમાંથી રૂ.5.50 લાખની મતાની ચોરી થયાની ઘટના સામે આવી છે. રૈયાધાર ટાઉનશીપ એ વીંગ ચોથા માળે બાર માળિયા ક્વાર્ટરમાં રહેતા નૂતનબેન જગદીશભાઈ ચાવડા (ઉ.વ. 32) એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તે અહીં સાસુ સાથે રહે છે, પતિ સાથે મનમેળ ન હોય તે અલગ ભાડવા ગામે છેલ્લા 10 વર્ષથી રહે છે. મહિલા જનાના હોસ્પિટલમાં સફાઈકામ કરે છે અને છેલ્લા બે મહિનાથી સોરઠીયા પ્લોટ શેરી નંબર 1/3 ના ખૂણે પિતાની તબિયત ખરાબ હોય જેથી તેમના ઘરે સંતાનો સાથે રહે છે. ગત તા.31 ના બપોરના 12 વાગ્યા આસપાસ સાસુ સાથે રૈયાધાર ટાઉનશીપમાં આવેલા પિતાના ઘરે ગયા હતા અને સાસુ ફરિયાદીના મોટાબેન જે શાંતિનગર ગેટ પાસે રહેતા હોય ત્યાં ગયા હતા. મહિલાને હોસ્પિટલમાં નાઈટ શિફ્ટ હોવાથી તે માતા પિતાના ઘરેથી રાત્રિના 8 વાગ્યે જનાના હોસ્પિટલ ગયા હતા અને નાઈટ શિફ્ટ પૂરી કરી તા.1 ના સવારના રૈયાધાર ખાતે ઘરે જઈ દરવાજાનું તાળું ખોલી અંદર જોતા તિજોરીનું ખાનુ તૂટેલું હતુ. જેથી તપાસ કરતા તિજોરીમાં રાખેલ એક સોનાની હાંસડી રૂ. 3.50 લાખ, બે જોડી સોનાની બુટ્ટી રૂ.1 લાખ, સોનાની વીંટી રૂ.50 હજાર, બે ચાંદીના દોરીયા, બે જોડી ચાંદીના કડલા, ચાંદીના નજરીયા તથા એક સોનાનો ઓમ અને રોકડ રૂપિયા 40 હજાર સહિત કુલ રૂ.5.50 લાખની મત્તા જોવા મળી ન હતી. SNK સ્કૂલ બસના ચાલકે કારને ટક્કર મારી શહેરના અમીન માર્ગ રોડ ઉપર રહેતા એડવોકેટ રઘુવીરભાઈ બસીયાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.2 જાન્યુઆરીના બપોરે 2 વાગ્યે પોતાની કાર લઈને માધાપર ચોકડીથી કે. કે. વી. હોલ તરફ જતા હતા ત્યારે ટીજીઇએસ એટલે કે SNK સ્કૂલની બસ (નં જીજે 03 બી ડબલ્યુ 1742) ના ચાલક સાગરભાઈ ધીરુભાઈ લાંબરીયાએ પુરઝડપે અને બેફીકરાઇથી બસ ચલાવી કારની ડાબી બાજુના અરીસા તથા કારના આગળના ભાગે નુકશાન પહોંચાડ્યું હતુ. વાવડીમાં શ્રમિકોના રૂ. 51 હજારની કિંમતના 7 મોબાઈલની ચોરી વાવડી વિસ્તારમાં ફરીવાર તસ્કરો ત્રાટકયા હતાં. કારખાનાની ઓરડીમાંથી શ્રમિકોના રૂ. 51 હજારની કિંમતના સાત મોબાઈલની ચોરી થઇ ગયાનો બનાવ સામે આવ્યો છે.રાત્રીના સમયે ઓરડીનો દરવાજો ખુલ્લો રાખીને સુઈ ગયેલા શ્રમિકો સવારે જાગતા મોબાઈલ મળી આવ્યા ન હોય તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગે મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ વાવડીમાં ફાલ્કન પંપ નજીક ક્રિસ્ટલ એન્જીનીયરીંગ કારખાનાની ઓરડીમાં રહેતા 25 વર્ષીય શ્રમિક નંદલાલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ક્રિસ્ટલ એન્જીનીયરીંગ કારખાનાની ઉપર આવેલી ઓરડીમાં અન્ય શ્રમિકો સાથે રહે છે. તે શ્રી ગણેશ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં છેલ્લા આશરે ત્રણ મહિનાથી ડ્રિલ મશીન ઓપરેટર તરીકે કામ કરે છે. CP ઓફિસમાં જ અનુસૂચિત જાતિના આગેવાનને જાનથી મારી નાખવાની ધમકી મળી સરધારમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ગૂમ થવા મામલે રાજકોટ શહેર પોલીસ કમિશનર સમક્ષ અનુસૂચિત જાતિ સમાજ દ્વારા થયેલી રજૂઆત દરમિયાન આગેવાનને જ જ્ઞાતિના અન્ય શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. અનુસૂચિત જાતિ આગેવાન ડી.ડી. સોલંકીએ પ્રદ્યુમનનગર પોલીસ મથકમા નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે વિક્રમ વોરાનું નામ આપ્યુ હતુ. જેમાં જણાવ્યું હતુ કે, પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત દરમિયાન તમામ ભાઇઓ તથા બહેનોને બેનર હાથમા લઈને લાઇનમા ઉભા રહેવાનુ કહ્યું હતું પરંતુ વિક્રમ મહીલાઓ તરફે ઉભો હતો જેથી તેમને પુરૂષો તરફે ઉભા રહેવાનુ કહ્યુ હતુ. જે બાદ મજાકમા કહ્યુ કે, જે મહીલા હોય તે મહીલા તરફે અને પુરૂષ હોય તે પુરૂષો તરફે ઉભા રહેશે. આ સાંભળી વિક્રમ ઉશ્કેરાઇ ગયો હતો અને ધમકી આપેલ કે, તુ બોલવામા ધ્યાન રાખજે, તને છરીના ઘા મારી જાનથી મારી નાખીશ. નોંધનીય છે કે, 2 વર્ષ અગાઉ રાજકોટના અશોક સીંધવ પર બે એફ.આઈ.આર. કરાવ્યા બાદ બંને વચ્ચે ઘણા સમયથી તકરાર ચાલતી હતી અને આ વિક્રમ તેનો માણસ હોય જે બાબતનુ મનદુ:ખ રાખી બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અમારો વિસ્તાર છે, કતરાઈને કેમ જુએ છે? કહી યુવાનને ધમકી નાણાવટી ચોક નજીક સતાધાર પાર્ક શેરી નં.-04 માં રહેતા 40 વર્ષીય યુવાન રોહનભાઈ મુળજીભાઈ ઝાલાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અલ્તાફ અને તેની સાથેના એક અજાણ્યા યુવક અને યુવતીનું નામ આપી જણાવ્યું હતું કે, પોતે ખાનગી કંપનીમાં નોકરી કરે છે.ગત તા.27 ના રાત્રીના 8 વાગ્યે તે નોકરીના સ્થળેથી નાણાવટી ચોક પાસે રીક્ષામાંથી ઉતરી ઘર તરફ જતો હતો ત્યારે નાણાવટી ચોકથી અંદર આવાસ યોજનાના ક્વાટર પાસે આવેલી ખોડીયાર ચાની દુકાને પાણી પીવા ઉભો રહ્યો હતો ત્યારે એક અજાણ્યા શખ્સે ઘસી આવી ચાવીનો જુડો પીઠના ભાગે ફેંક્યો હતો. જેથી પાછળ ફરીને જોતા ત્યા 3 વ્યકિત ઉભા હતા. જેમા બે છોકરા તથા એક છોકરી હતી. જે બાદ એક શખ્સે કહ્યુ કે, આ અમારો ઈલાકો છે, શુ કતરાઈને સામે જોવે છે? આ એરીયામાથી નીકળવુ હોય તો શાંતિથી રહેવુ પડશે, કાંઈ ઉચા નીચે થયો તો છરીના ઘા મારી જાનથી મારી નાખીશ તેવું કહી બોલાચાલી કરવા લાગ્યો હતો. મવડીમાંથી લિસ્ટેડ બુટલેગર દારૂની 480 બોટલ સાથે ઝડપાયો મવડીમાંથી દારૂના મોટા જથ્થા સાથે લિસ્ટેડ બુટલેગર ધવલ સોજીત્રાને પીસીબીની ટીમે પકડી પાડી કાર્યવાહી કરી હતી. જે થર્ટી ફર્સ્ટ બાદ રાજસ્થાન જઈ પુઠાના બોક્સમાં દારૂ પાર્સલ કરી બસ મારફત લઈ આવ્યો હતો. પીસીબી ટીમને મળેલી બાતમીના આધારે મવડી પ્લોટમાં વૃંદાવન સોસાયટી શેરી નં.6 માં આવેલ મકાનમાંથી ઇંગ્લીશ દારૂના મોટા જથ્થા સાથે ધવલ મનસુખ સોજીત્રા (ઉં.વ.35, રહે.આર્યનગર શેરી નં.13 કોર્નર પેડક રોડ) ને પકડી પાડી દારૂની કુલ 480 બોટલ રૂ.76800 નો મુદામાલ કબ્જે કરી પૂછતાછ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, દારૂ સાથે પકડાયેલ શખ્સ લિસ્ટેડ બુટલેગર છે અને તેના વિરુદ્ધ દારૂના અનેક ગુના નોંધાયેલ છે. આરોપીએ થર્ટી ફર્સ્ટ પર પોલીસના વધુ ચેકીંગના કારણે નવા વર્ષની શરૂઆતમાં જ રાજસ્થાનથી પુઠાના બોક્સમાં દારૂ પાર્સલ કરી લઈ આવ્યો હતો. ફેમિલી કોર્ટનો સજા વોરંટનો આરોપી પકડાયો ફેમિલી કોર્ટના સજા વોરંટના આરોપીને પેરોલ ફર્લો સ્કોડની ટીમે ઝડપી લઇ માલવિયાનગર પોલીસ મથકના હવાલે કર્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓ નાસતા ફરતા અને પેરોલ જમ્પ આરોપીઓને શોધી કાઢવાની આપેલ સૂચનાથી પેરોલ ફર્લો સ્ક્વોડને હ્યુમન સોર્સથી મળેલી માહિતીના આધારે ફેમિલી કોર્ટના સજા વોરંટના નાસતા ફરતા આરોપી તેજુભા પ્રભાતસિંહ જાડેજા (રહે. માતૃકૃપા સિક્યુરિટી સર્વિસ, રાજકમલ પેટ્રોલ પંપ સામે)ને પકડી પાડી માલવિયાનગર પોલીસ મથકના હવાલે કરવામાં આવ્યો હતો. સાળા પર બનેવીનો ધોકાથી હૂમલો શહેરના પેડક રોડ પર આવેલા પેડક ગેઇટ અંદર રહેતા ધવલ નવીનભાઈ રાઠોડ (ઉં.વ. 39) ગઈકાલે બપોરે 3.30 વાગ્યા આસપાસ વેલનાથ ફાટક ઓમનગર પાસે હતા ત્યારે બનેવી પારસ ઠાકોરે માથામાં ધોકો મારી લેતા ઈજા થઈ હતી. જેથી તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ધવલભાઈએ જણાવ્યું કે, તેઓ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પત્ની પૂજાને તેમના બહેન કીર્તિબેન સાથે ફોન પર બોલાચાલી થઈ પછી સમાધાન માટે બોલાવી ઝઘડો કરી માર માર્યો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
સેજકપર ગામની સીમમાં નીલગાયના શિકારનો મામલો:સાયલા વન વિભાગે પકડેલા બે શિકારી બે દિવસના રિમાન્ડ પર
વન વિભાગે સુરેન્દ્રનગર જિલ્લાના સેજકપર ગામની સીમમાં નીલગાયનો શિકાર કરી માંસ વેચતી ટોળકી પર દરોડો પાડ્યો છે. મધરાત્રે કરાયેલી આ કાર્યવાહીમાં સાયલા વન વિભાગે પીછો કરીને બે શિકારીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી કાર, બાઇક અને રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક વી.એન. ગોસ્વામી અને મદદનીશ વન સંરક્ષક વાય.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ વન્યપ્રાણીઓના રક્ષણ માટે વન વિભાગ સતર્ક બન્યું છે. આ દરમિયાન સાયલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સાગરભાઇ બી. મકવાણાને સેજકપર ગામના રેવન્યુ સર્વે નંબર-375માં નીલગાયનો શિકાર થતો હોવાની ગુપ્ત માહિતી મળી હતી. આ માહિતીના આધારે, સાયલા રેન્જના વનપાલ, વનરક્ષકો અને ક્ષેત્રીય સ્ટાફ સહિત 25થી 30 કર્મચારીઓની ટીમે રાત્રિના સમયે સેજકપર ગામે ઓચિંતી રેઇડ કરી હતી. સ્થળ પર પાંચ ઇસમો નીલગાયના માંસનું કટીંગ કરતા રંગેહાથ ઝડપાયા હતા. જોકે, તેમાંથી ત્રણ ઇસમો અંધારાનો લાભ લઇ નાસી છૂટ્યા હતા. વન વિભાગની ટીમે સતર્કતા દાખવી પીછો કરીને કુરેશી જુબેદ ઇબરાલ અહેમદ અને હનીફ ઇબ્રાહીમ સંધી નામના બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. વન વિભાગની પ્રાથમિક તપાસમાં આ શખ્સોએ રાત્રિના સમયે માદા નીલગાયનો શિકાર કરી તેને વેચાણ અર્થે કાપતા હોવાની કબૂલાત કરી હતી. તપાસનીશ અધિકારી દ્વારા વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972ની વિવિધ કડક કલમો હેઠળ ગુન્હો નોંધી સ્થળ પરથી અંદાજે 30 કિલો માંસ, ગુન્હામાં વપરાયેલી સેન્ટ્રો કાર, બાઇક, બે તીક્ષ્ણ છરા, લોખંડના સળીયા, બે મોબાઇલ ફોન અને રોકડ રકમ 19200 સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા બંને આરોપીઓને સાયલા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. આ ઘટનાના તાર ક્યાં જોડાયેલા છે અને નાસી છૂટેલા અન્ય ત્રણ શખ્સો કોણ છે તેની સઘન તપાસ માટે વન વિભાગે રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટે બંને આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આગામી દિવસોમાં આ મામલે મોટા ખુલાસા થવાની શક્યતા સેવાઈ રહી છે. આ સફળ કામગીરીમાં સામાજિક વનીકરણ વિભાગ, વાઇલ્ડ લાઇફ વોર્ડન અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર સાગર મકવાણા અને તેમની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.
NDPS કેસમાં ભૂલો ટાળવા તાપી પોલીસની તાલીમ:રાઈટરોને કાયદાકીય પાસાઓ પર વિસ્તૃત માર્ગદર્શન અપાયું
તાપી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ વ્યારા સ્થિત એસ.પી. કચેરીના મિટિંગ હોલમાં નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકો ટ્રોપિક સબસ્ટન્સીસ (NDPS) એક્ટ-1985 અંતર્ગત એક વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ તપાસ દરમિયાન થતી ટેકનિકલ ભૂલો નિવારવાનો અને કોર્ટમાં કેસને મજબૂત બનાવવાનો હતો. SOG શાખાના PI કે.જી. લીંબાચીયા દ્વારા આયોજિત આ તાલીમમાં તાપી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના 36 જેટલા રાઈટરો, LCB શાખાના કર્મચારીઓ અને અન્ય પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. આ તાલીમ બપોરે 3:00 થી 6:00 વાગ્યા સુધી ચાલી હતી. કાર્યક્રમમાં LCB PI ડી.એસ. ગોહિલે રાઈટરોને તપાસમાં થતી સામાન્ય બેદરકારીઓ અને ધ્યાન રાખવા જેવી બાબતો પર પ્રકાશ પાડ્યો હતો. જ્યારે PSI ડી.આર. પ્રજાપતિ અને એન.પી. ગરાસિયાએ NDPS કેસમાં બાતમી લેવાથી માંડીને દરોડા, ડ્રગ્સ સીઝ કરવાની પ્રક્રિયા, પંચોની હાજરી, વજન માપવાની પદ્ધતિ અને FSL અધિકારીઓને સાથે રાખવા જેવી મેન્ડેટરી જોગવાઈઓની વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત, કેસ પૂર્ણ થયા બાદ મુદ્દામાલના નાશ અંગેની પ્રક્રિયા પણ સમજાવવામાં આવી હતી. કાયદાકીય પાસાઓ પર માર્ગદર્શન આપતા AGP રમેશભાઈ ચૌહાણ, ચીફ લીગલ એઈડ ડિફેન્સ કાઉન્સિલ નિલેશભાઈ પટેલ અને ડેપ્યુટી કાઉન્સિલ અવસર દવેએ કોર્ટ ટ્રાયલ દરમિયાન ઉદભવતા પ્રશ્નો અને જરૂરી તકેદારી અંગે માહિતી આપી હતી. આ તકે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના મહત્વના જજમેન્ટ્સ (યુનિયન ઓફ ઇન્ડિયા વિ. મોહનલાલ અને કૈલાશ બાજીરાવ પવાર વિ. સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર) નો ખાસ ઉલ્લેખ કરી કાયદાકીય ગૂંચવણો સમજાવવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લાના આઠ તાલુકામાં નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS) પરીક્ષા 28 કેન્દ્રો પર યોજાઈ હતી. ધોરણ-8ના કુલ 7000 વિદ્યાર્થીઓમાંથી 6905 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે 95 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આ પરીક્ષા શનિવારે 230 થી વધુ બ્લોકમાં લેવામાં આવી હતી. જિલ્લાના આઠ તાલુકાના 28 કેન્દ્રો પર આયોજન કરવામાં આવ્યું હતું. કુલ 7000 નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી 6905 વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી, જ્યારે 95 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. માધ્યમ મુજબના આંકડા જોઈએ તો, ગુજરાતી માધ્યમમાં 6995 વિદ્યાર્થીઓમાંથી 6901 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 94 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. અંગ્રેજી માધ્યમમાં 2 વિદ્યાર્થીઓમાંથી 1 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી અને 1 વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો. આ ઉપરાંત, એડિશનલ વિભાગમાં 3 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
અમદાવાદના ધામતવાણ ગામના મહિલા સરપંચના ભ્રષ્ટાચારને લઈ અમદાવાદ પૂર્વના સાંસદ અને વટવાના ધારાસભ્ય વચ્ચે લેટર વોર છેડાઈ હતી. તે મહિલા સરપંચને અંતે ડીડીઓ દ્વારા હોદા પરથી દૂર કરવામાં આવ્યા છે. મહિલા સરપંચ સામેની ફરિયાદો બાદ ડીડીઓએ કાર્યવાહી કરતા ધામતવાણ ગામના લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ મહિલા સરપંચને હોદા પરથી દૂર કરાયાઅમદાવાદના ધામતવાણ ગામના મહિલા સરપંચ રેખાબેન પારેખ સામે અમદાવાદના પૂર્વના સાંસદ સભ્ય હસમુખ પટેલ, ધામતવાણ ગામના લોકો દ્વારા ગ્રામ પંચાયતમાં નાણાકીય ગેરરીતિ સબબની ફરિયાદો બાદ તપાસ ટીમની રચના કરવામાં આવી હતી. તપાસ કમિટીએ જે રિપોર્ટ તૈયાર કર્યો તેમાં ધામતવાણ ગ્રામ પંચાયતના સ્વભંડોળની આવકમાંથી માટીપુરાણ હેડે થયેલ ખર્ચ, પાણી પુરવઠા-વાટા હેડે થયેલ ખર્ચ, ઉત્સવ ઉજવણી હેડે થયેલ ખર્ચ, પગાર હેડે થયેલી ખર્ચમાં નાણાકીય ગેરરીતિ માલૂમ પડી હતી. આ મામલે સરપંચને ખુલાસો કરવા જણાવવામાં આવ્યું હતું પરંતુ, તેમના દ્વારા ખુલાસો કરાયો નથી. મહિલા સરપંચ રેખાબેન પારેખ પોતાની ફરજ બજાવવામાં અસમર્થ હોય અને સરંપચના હોદાનો દુરુપયોગ કર્યો હોય ડીડીઓ દ્વારા હોદા પરથી દૂર કરવાનો હુકમ કરાયો છે. કમિટીની તપાસમાં અનિયમિતતા જણાઈ આવી (1) ગ્રામ પંચાયત દ્વારા મહત્તમ ખર્ચના ચૂકવણા બેરર ચેકથી તથા હાથ ઉપરની રોકડથી કરવામાં આવેલ છે. જે નાણાંકીય નિયમનો ભંગ કરેલ છે. (2) દરેક કામો માટે સામાન્ય સભાનો ઠરાવ કરી સામાન્ય સભાની મંજુરી મેળવેલ હોય તેમ જણાતું નથી. ગ્રામ પંચાયત સ્વભંડોળમાંથી ગ્રામ પંચાયતની સામાન્ય સભાની મંજુરી બાદ જ ખર્ચ કરવાનો હોય છે પરંતુ મોટા ભાગના કિસ્સામાં ઠરાવ રેકર્ડ પર ઉપલબ્ધ નથી. (3) ઠરાવ બુકમાં ઠરાવ નંબર આપી પાનાં કોરાં રાખેલ છે. અથવા બાજુમાં પેટા ક્રમ આપી પેટા ઠરાવ કરી અને પશ્ચાત અસરથી ઠરાવ કર્યાનું જણાય છે. ઠરાવ બુકમાં ખૂબ જ પ્રમાણમાં છેકછાક જણાય છે. (4) મહદંશે ખર્ચ ગ્રામ પંચાયતના કર્મચારી અથવા પંચાયતના સદસ્ય તથા તેમના કુટુંબીજનોના નામથી રોકડ તથા બેરર ચેકથી ખર્ચ કરેલ છે. જેમાં પંચાયત ધારાની કલમ-(30), (55), (57) અને (114)ની જોગવાઈનો ભંગ થયેલ જણાય છે. (5) કોઇ એક જ વ્યક્તિના નામે પગાર ખર્ચ પેટે વધારે રકમ ચૂકવી હોવાનું જણાય છે. ખરેખર VCE ને પગાર ચૂકવવાનો હોતો નથી. છતાં VCEને પગાર ચૂકવી નિયમનો ભંગ કરેલ છે. અંદાજે જોતાં VCE શૈલેષભાઇના નામે રૂ.7,48,950/- માટીપુરાણ અને ઉત્સવ ઊજવણી તથા ત્રણ વર્ષના પગાર પેટે રૂ.28,85,200/- જેટલી અંદાજીત રકમ રોકડમાં ઉધારેલ છે. જેમાં કથા કર્મચારીનો કેટલો પગાર કરવામાં છે તેની કોઈજ સ્પષ્ટતા વાઉચરમાં જણાતી નથી. વધુમાં VCE એ પોતાના નિવેદનમાં જણાવ્યા મુજબ તેના નામનો જે બેરર ચેક તેને મળે છે તે બેકમાંથી રોકડમાં ઉપાડી સરપંચને આપેલ છે, જે નાણાંકીય ઔચિત્યનો ભંગ થયેલ છે. (6) સરપંચ રેખાબેન એસ.પારેખની તા.30/4/2024 થી તા.20/5/2024 દરમ્યાન વિદેશપ્રવાસ અંગેની રજા મંજુર કરવામાં આવેલ. આ અંગે ગ્રામપંચાયતે ઠરાવ કરી ઉપસરપંચને ચાર્જ સુપ્રત કરેલ હોવા છતાં સુંદર સમયગાળામાં સરપંચ રેખાબેન એસ.પારેખની રોજમેળ વાઉચર્સમાં સહીઓ થયેલ છે, જે જોતાં રેકર્ડ નિયમિત રીતે લખાયેલ ન હોવાનું જણાય છે. (7) અરજદાર દ્વારા બાંધકામ રજાચિઠ્ઠી આપવાના કિસ્સામાં ગામના વિકાસ માટે લોકફાળા સ્વરૂપે સહયોગ આપે તે માટે ગ્રામ પંચાયત દ્વારા અરજદાર પાસેથી લોકફાળાની રકમ લેવામાં આવે છે, જે માટે અરજદારને ફરજ પાડી શકાય નહીં આ પ્રકારે મળેલ લોકફાળાની રકમમાંથી કોઈ જાહેર હિતના સ્થાયી અસ્કયામત સ્વરૂપના વિકાસના કામો કરેલ નથી. માત્ર અસ્થાયી પ્રકારના માટી પુરાણ, વાટા કામ વગેરે કામો કરેલ છે. (8) તલાટી કમ મંત્રી ના રૂબરૂ લેખિત જવાબમાં જણાવ્યા મુજબ ધામતવાણ ગ્રામપંચાયતમાં ચૂકવવામાં આવતાં પગાર જે તે કર્મચારીના બેંક ખાતામાં ન નાખતાં શૈલેષકુમાર પરમારના નામનો એક જ ચેક બનાવી દરેક કર્મચારીને ચૂકવવામાં આવે છે. અને પગાર પત્રકમાં સહી કરાવીને પગાર ચૂકવાય છે. પરંતુ રેકર્ડ ચકાસતાં શૈલેષકુમાર પરમારના નામનું પગાર ખર્ચના વાઉચરની રકમ તેમજ પગાર પત્રકમાં ચૂકવાયેલ રકમમાં તફાવત જોવાં મળેલ છે. પગાર પત્રકમાં નામ લખેલ હોય તેની સામે રકમ દર્શાવેલ નથી. રકમ દર્શાવેલ હોય ત્યા કર્મચારીની સહી નથી. તેવી અનિયમિતતા જોવા મળેલ છે. ગામ પંચાયતમાં સરપંચ કારોબારી વડા હોય છે. સરપંચ દ્વારા આ અધિનિયમથી પ્રાપ્ત થયેલ સત્તાનો દુરૂપયોગ કરી નાણાંકીય ગેરરીતિ આ ચરી સરપંચ તરીકે ફરજ બજાવવામાં કસુર કરેલ છે. તેમજ ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની જોગવાઈ અન્વથે જે ફરજો અદા કરવાની જવાબદારી મુકવામાં આવી છે તે ફરજો બજાવવામાં અને સોંપવામાં આવેલ કાર્યો કરવામાં દુરાગ્રહ પુર્વક કસુર કરેલ છે. તેમજ ગ્રામ પંચાયતને આર્થિક નુકસા પહોંચાડેલ હોવાનું જણાય છે. ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની કલમ-57 (1) ની જોગવાઈ મુજબ પંચાયતનો કોઇ સભ્ય, સરપંચ અથવા યથાપ્રસંગ, ઉપસરપંચ પોત તની ફરજો બજાવવામાં ગેરવર્તણુંક માટે અથવા શરમજનક વર્તણુંક માટે દોષિત થયો હોય અથવા પોતાની સત્તાનો દુરૂપયોગ કરે અથવા આ અ ધિનિયમ મુજબ પોતાની ફરજો અને કાર્યો બજાવતી વખતે વારંવાર કસુર કરે, અથવા આ અધિનિયમ મુજબ પોતાની ફરજો બજાવવામાં અસમર્થ થયો હોય તો, યોગ્ય સત્તાધિકારી થથાપ્રસંગ, આવા સભ્યને, સરપંચ અથવા ઉપસરપંચને જે કંઇ કહેવું હોય તે કહેવાની તક આપ્યા પછી અને તે અર્થે પંચાયતને યોગ્ય નોટીસ આપ્યા પછી અને પોતાને જરૂરી જણાય તેવી તપાસ કર્યા પછી, તેને હોદ્દા પરથી દુર કરી શકાશે. આ મુદ્દે આઠ મહિના પહેલા સાંસદ-ધારાસભ્ય વચ્ચે 'લેટર વોર' છેડાઈ હતીધામતવાણ ગામના મહિલા સરપંચની કામગીરીને લઈ ગામલોકો દ્વારા આઠ મહિના પહેલા જ સવાલો ઉઠાવ્યા હતા. ગ્રામજનોએ ભાજપના સાંસદ હસમુખ પટેલને ફરિયાદ કરી આક્ષેપ કર્યો હતો કે, સરપંચના પતિએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. આ અંગે ગ્રામજનો દ્વારા રજૂઆત વટવા વિધાનસભાના ભાજપ ધારાસભ્ય બાબુસિંહ જાદવને કરવામાં આવી છતાં કોઈ નિરાકરણ ન આવતાં છેવટે સાંસદને પત્ર લખ્યો હતો. સાંસદ હસમુખ પટેલે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરતો પત્ર ધારાસભ્યને લખ્યો હતો અને સાંસદે લખેલો પત્ર સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થયો હતો. ત્યારે આવો કોઈ પત્ર મળ્યો ન હોવાનો ધારાસભ્ય બાબુસિંહ જાદવે પત્ર લખી ખુલાસો કર્યો હતો. ધારાસભ્યએ સાથે ટોણો મારતાં કહ્યું હતું કે મને તેમજ મારા કાર્યાલયને આવો કોઈ પત્ર મળ્યો નથી. તમે અનુભવી સાંસદ છો તો તમને જાણ કરું છું કે સરપંચ વિરુદ્ધ કાર્યવાહી કરવાની કોઈ સત્તા ધારાસભ્યના કાર્યક્ષેત્રમાં આવતી નથી.
સ્કૂલ એડમિશન ફેરમાં તમને GSEB, CBSE, IB, ICSE Cambridge Boardની સ્કૂલો એક જ છત હેઠળ મળી રહેશે, જેથી તમને તમારા બાળકને અનુકૂળ હોય તેવી સ્કૂલની પસંદગી કરવામાં સરળતા રહેશે. અદ્યતન અને સારી સ્કૂલ એ માત્ર ભણતર આપતી સંસ્થા નથી પરંતુ બાળકના સર્વાંગી વિકાસનો મજબૂત આધારસ્તંભ છે. આજના ઝડપી બદલાતા યુગમાં સ્કૂલની ભૂમિકા ઘણી વિસ્તૃત થઈ ગઈ છે. હવે સ્કૂલમાં માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન નહીં પરંતુ જીવન માટે જરૂરી મૂલ્યો, કૌશલ્ય, વિચારશક્તિ અને આત્મવિશ્વાસનું નિર્માણ પણ થાય છે. એક સારી અને અદ્યતન સ્કૂલ બાળકને શૈક્ષણિક રીતે મજબૂત બનાવવાની સાથે માનસિક, શારીરિક, સામાજિક અને ભાવનાત્મક રીતે પણ પરિપક્વ બનાવે છે. તમે પણ તમારા બાળક માટે શ્રેષ્ઠ સ્કૂલ પસંદ કરી શકો તેવા ઉમદા હેતુસર સ્કૂલ એડમિશન ફેર 2026-27 દિવ્ય ભાસ્કર લઈને આવ્યું છે. સ્કૂલ એડમિશન ફેરમાં તમને ઉત્કૃષ્ટ પરિણામ આપતી સ્કૂલો, અભ્યાસની ઉત્તમ ગુણવત્તા સાથે શ્રેષ્ઠ શિક્ષકગણ, સુવિધાસભર અને સલામત સ્કૂલો, સુરક્ષિત ટ્રાન્સપોર્ટ સુવિધા ઉપલબ્ધ, ફુલ્લી ડિજિટલ એન્હેસ્ન્ડ કેમ્પસ વગેરે જેવી સ્કૂલો એક જ સ્થળે મળી રહેશે, જેથી તમે તમારા બાળકને અનુકૂળ હોય તેવી સ્કૂલની પસંદગી સરળતાથી કરી શકશો. દિવ્ય ભાસ્કર સ્કૂલ એડમિશન ફેરમાં H3 પ્રિ-સ્કૂલ, JG ઈન્ટરનેશનલ સ્કૂલ, કાપડિયા હાઈસ્કૂલ, ન્યૂ LDR ઈન્ટરનેશનલ સ્કૂલ, લોટસ સ્કૂલ અને નિર્માણ હાઈસ્કૂલ જેવી શહેરની નામાંકિત સ્કૂલો ભાગ લઈ રહી છે. સ્કૂલ એડમિશન ફેરમાં એન્ટ્રી ફ્રી છે. ફ્રી રજિસ્ટ્રેશન માટે 91900 00092 નંબર પર મિસ્ડ કોલ કરો.
જયદ્રથસિંહ પરમાર પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ બન્યા:પંચમહાલ ભાજપે ગોધરામાં સન્માન સમારોહ યોજ્યો
ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનના ઉપપ્રમુખ તરીકે હાલોલના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમારની નિયુક્તિ કરવામાં આવી છે. આ નિમણૂક બાદ પંચમહાલ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા ગોધરા ખાતેના જિલ્લા ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે તેમનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપપ્રમુખ જયદ્રથસિંહ પરમાર, છોટાઉદેપુર લોકસભાના પૂર્વ સાંસદ અને પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ગીતાબેન રાઠવા, પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ, રાજ્યસભાના સાંસદ ડો. જશવંતસિંહ પરમાર અને પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવ સહિત સ્થાનિક ધારાસભ્યો અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત કાર્યકર્તાઓએ પ્રદેશ સંગઠનના ઉપપ્રમુખ જયદ્રથસિંહ પરમારનું પરંપરાગત રીતે સન્માન અને અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે નવનિયુક્ત પ્રદેશ ઉપપ્રમુખે આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં પંચમહાલ જિલ્લામાં ભાજપને મજબૂત બહુમતી અપાવવા માટે કાર્યકરોને કામે લાગી જવા હાકલ કરી હતી. હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને છોટાઉદેપુરના પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવાની ભાજપ પ્રદેશ સંગઠનમાં ઉપપ્રમુખ તરીકે વરણી થતા, બંને નેતાઓએ પ્રદેશ તેમજ કેન્દ્રના ભાજપ સંગઠનના નેતાઓ સહિત તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.
બનાસકાંઠા LCBએ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો:અજાપુરા ગામેથી આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયો
બનાસકાંઠા LCBએ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના અજાપુરા ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. ચોરીમાં ગયેલી કુલ ₹47,870/- રોકડ રકમ કબજે કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે સૂચનાઓ આપી હતી. આ સૂચનાઓના આધારે, LCB, બનાસકાંઠાના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. LCB સ્ટાફ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન, જુગાર અને મિલકત સંબંધિત ગુનાઓ અંગે વોચ તપાસ કરી રહ્યો હતો. આ દરમિયાન, ભોયણ ગામેથી ખાનગી બાતમી મળી હતી. બાતમી મુજબ, ભરતભાઈ ઉર્ફે ભડીયો માધાભાઈ લુહાર, રહે. પાણીના ટાંકા પાસે, વેલુનગર, ડીસા, જેણે કાળા કલરનું જેકેટ અને આછા લીલા કલરનું પેન્ટ પહેર્યું હતું, તે બે દિવસ પહેલા અજાપુરાના બાળાગૌરી એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાં થયેલી ચોરીને અંજામ આપી ચોરીના મુદ્દામાલ સાથે રાજમંદિર તરફથી ભોયણ બસ સ્ટેન્ડ તરફ આવી રહ્યો હતો. આ બાતમીના આધારે પોલીસે આરોપીને પકડી પાડી પૂછપરછ કરતા તેણે ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આ સાથે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. પોલીસે ચોરીમાં ગયેલી રોકડ રકમ ₹47,870/- કબજે કરી છે. પકડાયેલ આરોપીનું નામ ભરતભાઈ ઉર્ફે ભડીયો માધાભાઈ લુહાર છે, જે પાણીના ટાંકા પાસે, વેલુનગર, ડીસાનો રહેવાસી છે.
દેવગઢ બારીયા પોલીસે પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી તુષાર ધારવાની ધરપકડ કરી છે. રાજ્યમાં દારૂબંધીના કડક અમલ અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ તંત્ર દ્વારા ચલાવવામાં આવતી સઘન કાર્યવાહી અંતર્ગત આ સફળતા મળી છે. પંચમહાલ-ગોધરા રેન્જના મહાનિરીક્ષક પોલીસ આર.વી. અસારી તથા દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા દ્વારા નાસતા ફરતા અને લાંબા સમયથી ફરાર આરોપીઓને શોધી કાઢવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાને લીમખેડા વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એસ.ડી. રાઠોડ અને દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે. રાજપૂત દ્વારા પોલીસ સ્ટાફને માર્ગદર્શન અપાયું હતું. આ કામગીરી અંતર્ગત પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.આઇ. સોલંકીની આગેવાની હેઠળ એક વિશેષ ટીમ રચવામાં આવી હતી. દરમિયાનમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે. રાજપૂતને ખાનગી બાતમીદાર પાસેથી ચોક્કસ માહિતી મળી હતી કે પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી તુષાર શના ધારવા, રહે. સીંગેડી સરસીયા ફળીયું, તાલુકો દેવગઢ બારીયા, જિલ્લો દાહોદ, પોતાના ઘરેથી બારીયા બજારમાં આવ્યો છે. મળેલી બાતમીને આધારે પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી તુષાર શના ધારવાને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ આરોપીને દેવગઢ બારીયા પોલીસ સ્ટેશન લાવી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ સૂત્રો અનુસાર, આરોપી સામે દેવગઢ બારીયા પોલીસ સ્ટેશન પાર્ટ-સી ગુનો રજી. નં. 35/2025 મુજબ ગુજરાત પ્રોહીબીશન એક્ટની કલમ 65(એએ), 81 અને 116(બી) હેઠળ ગુનો નોંધાયેલ છે. લાંબા સમયથી ફરાર આરોપીની ધરપકડથી દેવગઢ બારીયા પોલીસે પ્રોહીબીશનના ગુનાઓ સામે કડક વલણ અપનાવ્યું હોવાનું સ્પષ્ટ થાય છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રૂપાલ ગામે આવેલા ઝાંઝરી માતાજીના મંદિરે પોષી પૂનમનો ઉત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે માતાજીને વિવિધ શાકભાજીનો અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો. શનિવારે પોષી પૂનમના પવિત્ર દિવસે મંદિરમાં આરતી, ચુંદડી અર્પણ અને રાજભોગ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો અને દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા અને મહાપ્રસાદનો લાભ લીધો હતો.
કાલુપુર રેલવે સ્ટેશન પર વહેલી સવારે રિક્ષાચાલકો અને RPF (રેલવે પ્રોટેક્શન ફોર્સ)ના જવાનો વચ્ચે પેસેન્જર ભરવાના મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ RPFના જવાનોએ રિક્ષાચાલકોને ઢોર માર માર્યો હતો. આ દરમિયાન એક રિક્ષાચાલક ઢળી પડ્યો હતો અને તેને બચાવવા આવેલા અન્ય ચાલકોને પણ માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જેના કારણે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. રેલવે PRO અજય સોલંકીએ આ અંગે જવાબ આપવાનો ઇનકાર કરતાં કહ્યું કે, 'અમારી પાસે આ અંગે કોઈ સોલિડ માહિતી કે પ્રૂફ આવ્યું નથી, તેથી અમે કોઈ જવાબ આપી શકતા નથી.' આ ઘટનાએ રેલવે સ્ટેશન પર રિક્ષાચાલકો અને RPF વચ્ચે અવારનવાર થતા ઘર્ષણના મુદ્દાને ફરી એકવાર ઉજાગર કર્યો છે. વાઇરલ વીડિયોમાં RPFના જવાનો રિક્ષાચાલકોને મારતા દેખાયાઅમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર વહેલી સવારે RPFના જવાનોએ રિક્ષાચાલકો સાથે કરેલી મારામારીનો વીડિયો સામે આવ્યો છે. RPFના જવાનો દ્વારા હાથમાં ડંડા વડે બેફામ રીતે રિક્ષાચાલકોને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વાઇરલ વીડિયોમાં પેસેન્જર ભરવા બાબતે બંને પક્ષે ઉગ્ર બોલાચાલી થતી જોવા મળી રહી છે. જે બાદ RPFના જવાનોએ રિક્ષાચાલકોને ઢોરમાર માર્યા હતા. આ દરમિયાન એક રીક્ષાચાલક ઢળી પડ્યો હતો. પેસેન્જર ભરવા બાબતે બંને પક્ષ વચ્ચે ઘર્ષણ થયું હતુંકાલુપુર રેલવે સ્ટેશન પર વહેલી સવારે રિક્ષાચાલકો અને RPF જવાનો વચ્ચે ઉગ્ર ચાલી થઈ હતી. પેસેન્જર ભરવા બાબતે બંને પક્ષ વચ્ચે થયેલી બોલાચાલી બાદ ઘર્ષણ થયું હતું. આ દરમિયાન RPFના કેટલાક જવાનોએ ઉભેલા રિક્ષાચાલકોને ડંડા વડે ફટકાર્યા હતા. એક રિક્ષાચાલકને બેફામ રીતે માર મારતા રિક્ષાચાલક ઢળી પડ્યો હતો. જેને બચાવવા બીજા રિક્ષાચાલકો વચ્ચે પડ્યા તો તેમને પણ RPFના જવાનોએ ઢોર માર માર્યો હતો. આ સમગ્ર બનાવનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. અવારનવાર પેસેન્જર ભરવા બાબતે બોલાચાલી થતી હોય છેRPF અને રિક્ષાચાલકો વચ્ચે અવારનવાર પેસેન્જર ભરવા બાબતે બોલાચાલી થતી હોય છે. રિક્ષાચાલકો છેક અંદર જઈને પેસેન્જરને રિક્ષા સુધી લઈ જવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે RPF જવાન દ્વારા તેમને રોકવામાં આવે છે. ત્યારે આજે વહેલી સવારે પણ આ પ્રકારનો બનાવ બન્યા બાદ RPF જવાનોએ રીક્ષાચાલકને માર મારવાનું સામે આવ્યું છે.
ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત મહિલા સહાયતા કેન્દ્રની કામગીરીને ગાંધીનગરના મહિલા અને બાળ વિકાસ વિભાગની ટીમે બિરદાવી છે. કમિશનર પુષ્પાબેન નિનામા અને તેમની ટીમે કેન્દ્રની આકસ્મિક મુલાકાત લીધી હતી, જેમાં કેન્દ્રની કામગીરી ક્ષતિરહિત અને પ્રશંસનીય જણાઈ હતી. નિયામક મહિલા કલ્યાણ તથા બાળ અધિકારીની કચેરીમાંથી કમિશનર પુષ્પાબેન નિનામા અને તેમની ટીમે છેલ્લા બે વર્ષથી કાર્યરત આ કેન્દ્રની વિસ્તૃત સમીક્ષા કરી હતી. સમીક્ષાનો મુખ્ય હેતુ પીડિત મહિલાઓને મળતી સહાય, કાઉન્સેલિંગ પ્રક્રિયા, કેસોની નોંધણી, દસ્તાવેજીકરણ અને વિવિધ વિભાગો સાથેના સંકલનની ચકાસણી કરવાનો હતો. સમીક્ષા દરમિયાન ગાંધીનગરની ટીમે કેન્દ્રની કામગીરીમાં કોઈપણ પ્રકારની ખામી કે ત્રુટિ નોંધી ન હતી. ઊલટું, કેન્દ્ર દ્વારા અપનાવવામાં આવતી કાર્યપદ્ધતિ, કેસ મેનેજમેન્ટ, પીડિત મહિલાઓ પ્રત્યેની સંવેદનશીલતા અને સમયસર સહાય પૂરી પાડવાની પ્રક્રિયાને ભારોભાર સરાહના મળી હતી. ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત આ મહિલા સહાયતા કેન્દ્ર પીડિત મહિલાઓ અને કિશોરીઓ માટે સુરક્ષા કવચ સમાન સાબિત થયું છે. કેન્દ્ર દ્વારા મહિલાઓ પર થતા અત્યાચાર, શોષણ, ઘરેલું હિંસા તથા અન્ય સામાજિક સમસ્યાઓથી પીડિતોને કાઉન્સેલિંગ, પોલીસ સહાય, કાયદાકીય માર્ગદર્શન તેમજ જરૂરી તબીબી સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કેન્દ્રમાં દર મહિને સરેરાશ પાંચથી છ પીડિત મહિલાઓ માર્ગદર્શન અને સહાય માટે આવે છે. અહીંના અનુભવી કાઉન્સેલરો દ્વારા આપવામાં આવતા યોગ્ય માર્ગદર્શન અને સમાધાનકારી પ્રયત્નોથી અત્યાર સુધી અનેક પરિવારો તૂટતા બચ્યા છે અને ઘણી મહિલાઓને પોતાનો પરિવાર અને આત્મવિશ્વાસ પાછો મળ્યો છે. આકસ્મિક મુલાકાત દરમિયાન ગાંધીનગરની ટીમે કેન્દ્રની સમર્પિત કામગીરીને રાજ્ય માટે અનુસરણયોગ્ય મોડેલ ગણાવી હતી. તેમણે ભવિષ્યમાં પણ આવી જ અસરકારક કામગીરી ચાલુ રાખવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
ભરૂચ ગ્રામ્ય વિસ્તાર અને રેલવે સ્ટેશનને જોડતો અત્યંત મહત્વનો રેલવે ગોદી માર્ગ આજ રોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રૂ. 2.36 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આ RCC માર્ગથી હજારો વાહન ચાલકોને મોટી રાહત મળશે.આ માર્ગ પરથી દરરોજ નાના–મોટા હજારો વાહનો પસાર થતા હોવાથી અગાઉ માર્ગ અત્યંત જર્જરિત બન્યો હતો. ખાડા અને ખરાબ હાલતના કારણે વાહન ચાલકોને સતત હાલાકી તેમજ આર્થિક નુકશાન સહન કરવું પડતું હતું. આ સમસ્યાને લઈને સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા કરવામાં આવેલી અનેક રજૂઆતોને ધ્યાને લઈ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તથા નગરપાલિકા દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જેના અનુસંધાને સપ્ટેમ્બર મહિનામાં રેલવે ગોદી માર્ગની નવીનીકરણ કામગીરી શરૂ કરવામાં આવી હતી.અંદાજે એક કિલોમીટર લાંબો અને 8 મીટર પહોળો આ RCC માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરાંત માર્ગની બંને બાજુ કુલ 52 સ્ટ્રીટ લાઈટો પણ લગાવવામાં આવી છે, જેથી રાત્રિના સમયે પણ વાહન ચાલકોને સુવિધા મળે. આજે 3 જાન્યુઆરીએ માર્ગનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત અધિકારીઓ,પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ચાર મહિનાથી બંધ રહેલો માર્ગ ફરીથી ખુલ્લો મૂકાતા જ સ્થાનિક વાહન ચાલકો અને શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નવો માર્ગ ભરૂચ શહેરના ટ્રાફિકને સરળ બનાવવામાં તેમજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારો વચ્ચે સંચાર સુગમ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
પાટણ ડિસ્ટ્રિકટ બિલ્ડર એસોસિએશન (PDBA) ના નવા વર્ષના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. આ નવી ટીમમાં વિપુલ પટેલને ચેરમેન અને નિલમ પટેલ (દાસ) ને પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. નવી બોડીની રચના બાદ, સભ્યોએ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન શહેરના વિકાસલક્ષી અને બિલ્ડર એસોસિએશનને લગતા પડતર પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. એસોસિએશનની બેઠકમાં અન્ય હોદ્દાઓ પર પણ નિમણૂકો કરવામાં આવી હતી. જેમાં ધીલન પટેલને મંત્રી, રાજુ દેસાઈ અને ઉત્કર્ષ પટેલને ઉપ-પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત, ચિંતન પટેલ (વકીલ) ને સહમંત્રી, નીતિન પટેલને ખજાનચી અને આશિષ પટેલને સહ ખજાનચી તરીકે સર્વાનુમતે પસંદ કરવામાં આવ્યા છે. નવી કારોબારી સમિતિના સભ્યોની પણ આ સાથે નિમણૂક કરાઈ હતી. હોદ્દેદારોની વરણી બાદ, તમામ સભ્યોએ નગરપાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસર હિરલ ઠાકરનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને તેમને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
ગાંધીનગરના સેક્ટર-24 સ્થિત ઇન્દિરા નગરના છાપરા વિસ્તારમાં માસૂમ બાળકી સાથે થયેલા જઘન્ય દુષ્કર્મ કેસમાં પોલીસે ન્યાયિક પ્રક્રિયાનો નવો ઇતિહાસ રચ્યો છે. નરાધમ રામગનીત યાદવ દ્વારા આચરવામાં આવેલી આ હેવાનીયત સામે ગાંધીનગર પોલીસે 13 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી છે. ગાંધીનગરના ઇતિહાસમાં આ પ્રથમ એવો કેસ છે જેમાં આટલી ટુંકાગાળામાં તપાસ પૂર્ણ કરી કાયદાકીય દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હોય. માસૂમ પર દુષ્કર્મ આચરનાર સામે 13 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂઆ ઘટનાની વિગતો કંપારી છૂટી જાય તેવી છે. 15મી ડિસેમ્બરની મધરાતે શ્રમજીવી પરિવાર જ્યારે ગાઢ નિદ્રામાં હતો, ત્યારે સેક્ટર-25 GIDCમાં મજૂરી કરતા બિહારના રામગનીત યાદવે 4 વર્ષની બાળકીનું મોઢું દબાવી અપહરણ કર્યું હતું. બાદમાં નજીકની ઝાડીઓમાં લઈ જઈ તેણે માસૂમ પર દુષ્કર્મ આચર્યું હતું. અને બાળકી બેભાન થઈ જતાં તે ભાગી ગયો હતો. આ પણ વાંચો: ઇન્દિરાનગર દુષ્કર્મ કેસનો આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયો પરિવાર પાસે પહોંચી ને આરોપીના પાપનો પર્દાફાશ થયો હતોપરંતુ થોડીવાર બાદ તે ફરીથી એ ચેક કરવા પાછો આવ્યો હતો કે બાળકી જીવતી છે કે મરી ગઈ છે. જોકે બાળકીની હિંમત અને કુદરતી કરામતને કારણે હોશમાં આવતા જ તે લથડતા પગે પરિવાર પાસે પહોંચી ગઈ અને સમગ્ર પાપનો પર્દાફાશ થયો હતો. પોલીસે આરોપીને 5 દિવસમાં દબોચી લીધો હતોઆ ગુનાની તપાસમાં બહાર આવ્યું હતું કે, આરોપી કરિયાણાની દુકાને ખરીદી કરવા આવતો ત્યારે તેની નજર આ બાળકી પર પડી હતી. તેણે આ કૃત્ય આચરવા માટે 10 દિવસ અગાઉથી જ પ્લાન તૈયાર કર્યો હતો અને તે સતત બાળકીની રેકી કરતો હતો. ગુનો આચરીને તે પોતાના વતન બિહાર ભાગી જવાની ફિરાકમાં હતો. પરંતુ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તેને 5 દિવસમાં જ દબોચી લીધો હતો. પોલીસ પર હુમલો કરી ભાગવાની કોશિશ કરી ને 3 રાઉન્ડ ફાયરિંગ બાદમાં જ્યારે પોલીસ આરોપીને ઘટનાસ્થળે રિ-કન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી, ત્યારે તેણે પોલીસ પર હુમલો કરી ભાગવાની કોશિશ કરી હતી. આ સમયે પોલીસે આત્મરક્ષણ અને નરાધમને રોકવા માટે 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.જેમાં એક ગોળી આરોપીના પગમાં વાગી હતી. આ ઘટના બાદ તેને સિવિલમાં સારવાર આપી રિમાન્ડ મેળવાયા હતા.(વાંચો સંપૂર્ણ સમાચાર) 'રાત-દિવસ કામ કરીને 13 દિવસમાં ચાર્જશીટ તૈયાર કરી'આ અંગે ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું કે, અલગ-અલગ એજન્સીઓના સંકલન અને FSLની મદદથી અમે મજબૂત વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કર્યા છે. બાળકીને ઝડપી ન્યાય મળે તે માટે પોલીસે રાત-દિવસ કામ કરીને 13 દિવસમાં ચાર્જશીટ તૈયાર કરી છે. હવે આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માટે કોર્ટને વિનંતી કરવામાં આવશે જેથી આરોપીને કડકમાં કડક સજા થાય.
રાજકોટ મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગની આગ બુઝાવવાની કાર્યક્ષમતામાં મોટો વધારો થયો છે. શહેરના નાગરિકોની સુરક્ષાને પ્રાધાન્ય આપીને રૂ. 4.98 કરોડના ખર્ચે ખરીદવામાં આવેલા 5 નવા ફાયર ફાઈટર વોટર બાઉઝર વાહનોનું આજે મેયર નયનાબેન પેઢડીયાનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાલાવડ રોડ પર નિર્મલા કોન્વેન્ટ પાસે આવેલા ફાયર સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નવા વાહનોને પ્રસ્થાન કરાવાયું હતું. આ નવી સુવિધાને કારણે ઈમરજન્સીના સમયે હજારો લોકોને તાત્કાલિક રાહત મળશે અને આગ પર નિયંત્રણ મેળવવાની પ્રક્રિયા વધુ ઝડપી બનશે. કુલ 9 કે. એલ. ક્ષમતા ધરાવતા આ બધા વોટર બાઉઝરમાં 195 એચપી પાવરફુલ એન્જીન અને 9000 લિટર પાણીની ક્ષમતા ધરાવતી ટેન્ક આપવામાં આવી છે. આ વાહનોમાં હાઈ પ્રેશર પંપ, હોઝરીલ, પીટીઓ અને લેડર જેવી અત્યાધુનિક એસેસરીઝ ઉપલબ્ધ છે. શહેરમાં જ્યારે પણ આગની દુર્ઘટના બને ત્યારે આ બાઉઝર ફાયર વિભાગની તાકાતમાં વધારો કરશે. આ લોકાર્પણ પ્રસંગે વિવિધ લોકપ્રતિનિધિઓ, ફાયર ઓફિસર અને ફાયર જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મોહન ભાગવત તા.19-20 રાજકોટમાં: વિવિધ ક્ષેત્રના અગ્રણી સાથે સંવાદ કરશે રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ સ્થાપનાના 100 વર્ષ શતાબ્દી ઉજવણી રહ્યું છે અને તેમાં સંઘ દ્વારા પુરા વર્ષ દરમ્યાન પંચ પરિવર્તનને મહત્વ આપવામાં આવી રહ્યું છે તેના ભાગરૂપે સરસંઘચાલક મોહન ભાગવતે દેશભરમાં શરૂ કરેલા પ્રયાસના ભાગરૂપે તેઓ આગામી તા.19-20ના રોજ રાજકોટમાં સમાજના વિવિધ ક્ષેત્રના લોકો સાથે મુલાકાત કરશે તથા સંઘ-કાર્ય-રાષ્ટ્ર સાથે સંઘનું જોડાણ એ સહિતના મુદે સંવાદ કરશે. ભાગવત તા.19ના રોજ રાજકોટ પહોંચ્યા બાદ બે દિવસ તેઓ રાજકોટમાં જ રોકાશે જેમાં ઉદ્યોગપતિઓ વિદ્યાર્થીઓ, મીડીયા અને યુવાવર્ગ સાથે સંવાદ કરશે. ખાસ કરીને વિવિધ ક્ષેત્રમાં મહત્વનું પ્રદાન કરનાર 60 જેટલા વિદ્યાર્થીઓ સાથે ખાસ ચર્ચાઓ કરશે તથા સમાજના ખાસ લોકો જેઓ વિવિધ જ્ઞાતિ- સામાજીક સંગઠનો અને સંસ્થાઓ સાથે જોડાયા હોય તે સરકારના 60 લોકો સાથે પણ સંવાદ કરશે તથા સંઘ કાર્યની ભૂમિકા પણ તેમની સમક્ષ રજુ કરશે. જોકે ભાગવત કોઈ જાહેર કાર્યક્રમમાં હાજરી આપવાના નથી. રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી અને સામાન્ય સભા યોજાશે રાજ્યમાં કોર્પોરેશન અને પંચાયતોની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી અને સામાન્ય સભાના શિડ્યુલ આખરે તૈયાર કરવામાં આવ્યા છે. વાઇબ્રન્ટ સમિટ અને ઉતરાયણ જેવા તહેવારોને કારણે વિલંબમાં પડેલી આ બેઠકો હવે જાન્યુઆરીના અંતમાં યોજાશે. કારોબારી સમિતિના ચેરમેન પી.જી. કિયાડાના જણાવ્યા અનુસાર, આગામી 19 જાન્યુઆરીએ કારોબારી બેઠક યોજવા માટેની નોંધ મોકલી દેવામાં આવી છે, જેના માટે જિલ્લા વિકાસ અધિકારી આગામી સપ્તાહમાં સત્તાવાર એજન્ડા જાહેર કરશે. ઉપરાંત, 22 કે 25 જાન્યુઆરીના રોજ સામાન્ય સભા યોજવાની પણ વિચારણા ચાલી રહી છે. મહત્વનું છે કે જિલ્લા પંચાયતની મુદત માર્ચના મધ્યમાં પૂર્ણ થઈ રહી છે. ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી જાહેર થાય તો આ બેઠકો વર્તમાન શાસકો માટે અંતિમ સાબિત થઈ શકે છે. જોકે, મતદાર યાદીની ચકાસણીને કારણે ચૂંટણી એપ્રિલ કે મે મહિના સુધી પાછી ઠેલાશે તેવી પણ એક વર્ગમાં ચર્ચા છે. હાલ જિલ્લા પંચાયતના સભ્યો અને રાજકીય વર્તુળોમાં આ બેઠકોના એજન્ડા અને ભવિષ્યની ચૂંટણીઓને લઈને અનેકવિધ તર્ક-વિતર્ક વહેતા થયા છે. મનપામાં બજેટની તૈયારીઓ શરૂ, ચૂંટણીના વર્ષે પ્રજા પર કરબોજ વધવાની સંભાવના નહિવત મનપામાં આગામી નાણાકીય વર્ષ માટે વિભાગવાઇઝ અંદાજપત્ર તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. દર વર્ષની પરંપરા મુજબ જાન્યુઆરી માસના અંતમાં કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટ રજૂ કરવામાં આવશે. હાલ મોટાભાગના અધિકારીઓ વાઇબ્રન્ટ સમીટની કામગીરીમાં વ્યસ્ત હોવાથી સમીટ પૂર્ણ થયા બાદ બજેટની મુખ્ય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે તેવું જણાઈ રહ્યું છે. વર્તમાન બોડીની મુદ્દત 11 માર્ચના રોજ પૂર્ણ થતી હોવાથી ફેબ્રુઆરીના બીજા કે ત્રીજા સપ્તાહમાં જનરલ બોર્ડમાં બજેટને આખરી મંજૂરી આપી દેવામાં આવશે. ચાલુ નાણાકીય વર્ષ 2025-2026નું બજેટ રૂ. 3118 કરોડનું હતું, જેની સામે ખર્ચનો આંકડો 2500 કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. કોર્પોરેશનની આર્થિક સ્થિતિ મજબૂત કરવા કમિશનર દર વર્ષે નવા કરવેરા સૂચવે છે, પરંતુ આ વખતે બજેટના તુરંત બાદ ચૂંટણી આવતી હોવાથી ભાજપના શાસકો પ્રજા પર કોઈપણ પ્રકારનો નવો કરબોજ લાદવા તૈયાર નથી. ઉલટું, ચૂંટણી વર્ષ હોવાથી શાસકો દ્વારા પ્રજાલક્ષી નવી યોજનાઓ અને કોઈ યાદગાર ભેટની જાહેરાત કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે.
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નેકનામ ગ્રામ્ય વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ઔદ્યોગિક એકમમાં કામ કરતા શ્રમિકના 2 વર્ષના માસૂમ પુત્ર સાથે સહકર્મીએ જ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા ચકચાર મચી ગઈ છે. પિતા સાથે થયેલા જૂના ઝઘડાનો ખાર રાખીને આરોપીએ માસૂમ બાળકને નિશાન બનાવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. બાળકને હાલ સારવાર માટે હોસ્પિટલમાં છે. પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં જ દબોચી લીધો હતો અને કાયદાનું ભાન કરાવ્યું હતું. રૂમમાં લઈ જઈ કુકર્મ આચર્યુનેકનામ ગામની સીમમાં આવેલી ફેક્ટરીમાં મજૂરી કરતા પરિવારનો 2 વર્ષનો બાળક ગત દિવસે રમતો હતો, ત્યારે તે જ કારખાનામાં કામ કરતા રામવિકાસ ગેના શાહ નામનો શખ્સ તેને લલચાવી ફોસલાવી પોતાના રૂમમાં લઈ ગયો હતો. ત્યાં નરાધમે માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ અમાનવીય કૃત્યને કારણે બાળકની તબિયત લથડી હતી અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાળકની હાલત જોતા તેને તાત્કાલિક ટંકારાની હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે મોરબી ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલ માસૂમની સારવાર ચાલી રહી છે. પોલીસ કાર્યવાહી અને ધરપકડબનાવની ગંભીરતાને ધ્યાને લઈ વાંકાનેર ડિવિઝનના DYSP સમીર સારડાના માર્ગદર્શન હેઠળ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. ગણતરીના કલાકોમાં જ આરોપી રામવિકાસ શાહની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપી અને બાળકના પિતા વચ્ચે અગાઉ બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ અદાવતનો બદલો લેવા માટે નરાધમે માસૂમ બાળકને હવસનો શિકાર બનાવ્યો હતો. ઓળખ પરેડ અને રિમાન્ડપોલીસે કાયદેસરની પ્રક્રિયાના ભાગરૂપે મામલતદારની હાજરીમાં અને બાળ રોગ નિષ્ણાતની ઉપસ્થિતિમાં આરોપીની ઓળખ પરેડ કરાવી હતી. આરોપી મજૂરી માટે આવ્યો: આરોપી પરણીત છે અને તેના પત્ની-બાળકો વતનમાં રહે છે, જ્યારે તે અહીં એકલો રહી મજૂરી કરતો હતો. આરોપીને પકડી રિમાન્ડ મેળવ્યા: હાલ આરોપી પોલીસ રિમાન્ડ હેઠળ છે અને પોલીસ આ મામલે વધુ પુરાવા એકત્ર કરી રહી છે. આ ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો નરાધમ સામે કડકમાં કડક સજાની માંગ કરી રહ્યા છે.
સગર્ભા પરણિતા પર સાસરીયાનો ત્રાસ:પતિએ કહ્યું- 'અહીં રહેવું હોય તો રોજ 3 હજાર કમાઈને આપવા પડશે'
ભાવનગર શહેરમાં પિયર અને સિહોરમાં સાસરીયુ ધરાવતી સગર્ભા મહિલા પર પતિ તથા સાસુએ શારીરિક માનસિક અત્યાચાર આચરતા પરણીતા પિતૃગૃહે રિસામણે આવી છે અને પતિ તથા સાસુ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, આ બનાવ અંગે મહિલા પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ઘોઘા જકાતનાકા વિસ્તારમાં આવેલ નટરાજ કોમ્પલેક્ષ પાછળ લાખાવાડમાં રહેતી નીલમ રમેશભાઈ ઝાંઝમેરા ઉં.વ.27 ના લગ્ન સિહોર શહેરમાં આવેલા હનુમાન ધારા વિસ્તાર ટાણા રોડ પર રહેતા મનદીપ દયાળ ધંધુકિયા સાથે સાત મહિના પહેલા ફૂલહારથી કરવામાં આવ્યા હતા, આ લગ્ન બાદ પતિ મનદિપ તથા સાસુ પાર્વતીએ 15 દિવસ સારી રીતે રાખ્યા સાચવ્યા બાદ ધીમે ધીમે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું, લગ્ન કરનાર મનદીપના આ ત્રીજા લગ્ન હોય જેમાં મનદીપની માતા નીલમ સાથે ઝઘડો કરી અને મહેણાંટોણાં મારી કહેતી કે, તને રસોઈ બનાવતા નથી આવડતી તું કરિયાવર નથી લાવી સહિત અપમાનિત કરી તેના પતિ મનદીપને પણ ચડામણી કરતી હતી, આ ઉપરાંત પાર્વતી નીલમને ભોજન પણ આપતી ન હતી તો બીજી તરફ માતાની ચડામણીને લઈને મનદિપે નીલમ પાસેથી મોબાઇલ પણ લઈ લીધો હતો અને તેને કહ્યું હતું કે તારે અહીં રહેવું હોય તો દરરોજ 3000 રૂપિયા રળીને આપવા પડશે, આમ કહી દરરોજ મોડી રાત્રે ઘરે આવી તેની સાથે ઝઘડો કરતો હતો અને મને નથી ગમતી મારે તને નથી રાખવી તેમ કહી મારકૂટ કરી અસહ્ય શારીરિક માનસિક ત્રાસ આપતા હતા, થોડો સમય પતિ, સાસુનો અત્યાચાર સહન કર્યો હતો અને નીલમને છ માસની પ્રેગનેન્સી હોય આથી સાસરી છોડવા તૈયાર ન હતી, પરંતુ પતિ, સાસુનો ત્રાસ અસહ્ય બનતા અંતે પિતૃ ગૃહે રીસામણે આવી છે અને સમાજના લોકો થકી સમાધાનના પ્રયત્નો કર્યા હતા, પરંતુ આ પ્રયત્નો નિષ્ફળ નીવડતા અંતે નીલમે તેના પતિ મનદિપ તથા સાસુ પાર્વતી વિરુદ્ધ ભાવનગર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ઉત્તરાયણના તહેવાર પૂર્વે નવસારી જિલ્લા કલેક્ટર દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ માંઝા (નાયલોન/મેટલ કોટેડ)ના વેચાણ પર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાના કડક અમલીકરણ માટે ચીખલી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે નોગામા ગામેથી એક વેપારીને ચાઈનીઝ દોરી સાથે ઝડપી પાડ્યો છે. નવસારી પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષકની સૂચના મુજબ, ચીખલી પોલીસ સ્ટેશનની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ નેભાભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે, નોગામાના પહાડ ફળિયામાં આવેલા “ગોજા” માંઝા સેન્ટર પર પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. દુકાનમાંથી રૂ. 1,800ની કિંમતની પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ત્રણ રીલ મળી આવી હતી. પોલીસે આ મુદ્દામાલ જપ્ત કરી દુકાનના સંચાલકની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીનું નામ જતીનભાઈ દિનેશભાઈ પટેલ (ઉંમર 32) છે, જે પહાડ ફળિયા, નોગામા, તા. ચીખલીનો રહેવાસી છે. આરોપી વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ ચીખલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ચાઈનીઝ દોરી પક્ષીઓ અને માનવો માટે જીવલેણ સાબિત થતી હોવાથી તેના વેચાણ અને ઉપયોગ પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
સુરતના પલસાણામાં આગામી 4 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી દરમિયાન ગુજરાતની અત્યાર સુધીની સૌથી મોટી શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક-4 ખાતે આયોજિત આ કથામાં પ્રખ્યાત કથાકાર પ્રદીપ મિશ્રા શિવકથાનું રસપાન કરાવશે. આ મહોત્સવમાં લાખો ભક્તો ઉમટવાની શક્યતા છે, ત્યારે સુરતના જાણીતા કાપડ ઉદ્યોગપતિ સાંવર પ્રસાદ બુધિયા દ્વારા કથાકારને ભેટ આપવા માટે 2 કિલો 360 ગ્રામ શુદ્ધ ચાંદીનું વિશેષ ત્રિશુલ તૈયાર કરાવવામાં આવ્યું છે. રાજસ્થાની કારીગરો દ્વારા માત્ર 8થી 10 દિવસમાં તૈયાર કરાયેલું આ હેન્ડમેડ ત્રિશુલ શિવભક્તિનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે. ત્રિશુલની બનાવટમાં આશરે 2.360 કિગ્રા શુદ્ધ ચાંદીનો ઉપયોગઆ ભવ્ય કથા પ્રસંગે સુરતના જાણીતા કાપડ ઉદ્યોગપતિ સાંવર પ્રસાદ બુધિયા દ્વારા ભગવાન શિવ પ્રત્યેની અનોખી ભક્તિ પ્રગટ કરવામાં આવી છે. આ વિશેષ ત્રિશુલની બનાવટમાં આશરે 2 કિલો અને 360 ગ્રામ શુદ્ધ ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્રિશુલની સાથે તેમાં ભગવાન શિવનું પ્રિય વાદ્ય ડમરુ પણ જોડવામાં આવ્યું છે અને બંને પર અતિ સુંદર નકશીકામ કરવામાં આવ્યું છે. આ ત્રિશુલ માત્ર એક વસ્તુ નથી, પરંતુ શિવભક્તના મનનો ભાવ છે જે આ કલાત્મક કૃતિમાં કંડારવામાં આવ્યો છે. રાજસ્થાનના કુશળ કારીગરોની મદદ લેવામાં આવીઆ ભવ્ય કૃતિના સર્જન માટે ખાસ કરીને ભારતના રાજસ્થાન રાજ્યના કુશળ કારીગરોની મદદ લેવામાં આવી હતી. રાજસ્થાની કારીગરો દ્વારા પોતાની પરંપરાગત કળાનો ઉપયોગ કરીને આ ત્રિશુલને અત્યંત સુંદર ઓપ આપવામાં આવ્યો છે. આ ત્રિશુલ સંપૂર્ણપણે 'હેન્ડમેડ' એટલે કે હસ્તકલા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. સુંદર અને ભવ્ય ત્રિશુલ બનાવીને કલાત્મક ઉદાહરણ પૂરું પાડ્યુંજ્વેલર્સ દીપક ચોકસીના જણાવ્યા અનુસાર, આ ત્રિશુલનું નિર્માણ ખૂબ જ ટૂંકા ગાળામાં કરવામાં આવ્યું છે. આશરે 3થી 4 જેટલા કુશળ કારીગરોએ સતત મહેનત કરીને માત્ર 8થી 10 દિવસમાં આ 2.360 કિલોના ચાંદીના ત્રિશુલને તૈયાર કર્યું છે. ઉદ્યોગપતિ સાંવર પ્રસાદ બુધિયાની વિનંતીને ધ્યાનમાં રાખીને કારીગરોએ અત્યંત ઝડપથી આ સુંદર અને ભવ્ય ત્રિશુલ બનાવીને એક કલાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત શિવભક્તિનો અનોખો સંગમગુજરાતની આ સૌથી મોટી કથાને લઈને શિવભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત શિવભક્તિનો આવો અનોખો સંગમ થવા જઈ રહ્યો છે, જ્યાં એક તરફ લાખોની સંખ્યામાં જનમેદની કથા સાંભળશે અને બીજી તરફ ઉદ્યોગપતિઓ પોતાની શ્રદ્ધાથી ભગવાનના આયુધ સમાન ત્રિશુલ ભેટ કરી ભક્તિના દર્શન કરાવશે.
અમરેલીમાં ચણાના પાક પર સુકારો અને ઈયળનો પ્રકોપ:ખેડૂતોને ઉત્પાદન ઘટવાની ભીતિ, અધિકારીઓએ આપી સલાહ
અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે શિયાળુ પાકમાં ખેડૂતોએ મબલક ચણાનું વાવેતર કર્યું છે. જોકે, હાલ ચણાના પાક પર સુકારો નામનો રોગ અને લીલી ઈયળોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. ચોમાસુ પાકમાં મગફળી અને કપાસ સહિતના પાકો નિષ્ફળ જતાં ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. આ નુકસાન ભરપાઈ કરવા માટે ખેડૂતોએ શિયાળુ પાક તરીકે મોટા પાયે ચણાનું વાવેતર કર્યું છે. જિલ્લાના 40% થી વધુ વિસ્તારમાં ચણાની ટેકાના ભાવે ખરીદી થતી હોવાથી ખેડૂતો સારા ભાવ અને ઉત્પાદનની અપેક્ષા રાખી રહ્યા હતા. ખાંભા તાલુકામાં ચણાનું સૌથી વધુ વાવેતર થયું છે. હાલમાં ચણાના પાક પર સુકારો રોગ અને લીલી ઈયળોનો પ્રકોપ વધ્યો છે. સુકારો રોગ છોડને સુકવી નાખે છે, જ્યારે ઈયળો પાકને નુકસાન પહોંચાડી રહી છે. આ સ્થિતિને કારણે ખેડૂતો ચિંતિત છે. ખેડૂત ભરતભાઈએ જણાવ્યું કે, તેમણે 8 વીઘા જમીનમાં ચણાનું વાવેતર કર્યું છે. ઈયળોનો ઉપદ્રવ ખૂબ જ વધારે છે અને દવા છંટકાવ કરવા છતાં કોઈ સુધારો જોવા મળતો નથી. જો આવી જ સ્થિતિ રહેશે તો ઉત્પાદન મળવાની શક્યતા ઓછી છે. અન્ય ખેડૂત જગદીશભાઈએ 10 વીઘામાં ચણાનું વાવેતર કર્યું છે. તેમણે કહ્યું કે, ઈયળોના કારણે છોડ જાંબુડિયા રંગના થઈ પીળા પડી સુકાઈ રહ્યા છે. દવાનો છંટકાવ કરવા છતાં લાંબા ગાળાનો કોઈ ફાયદો દેખાતો નથી, જેનાથી ઉત્પાદન પર અસર થશે. અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારી જીજ્ઞેશ કાનાણીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, ચાલુ વર્ષે ચણા અને ઘઉં સહિતના પાકોનું વ્યાપક વાવેતર થયું છે. જેમાં સુકારા અને લીલી ઈયળોના પ્રશ્નો સામે આવ્યા છે. જિલ્લા તંત્ર દ્વારા ખેડૂતો માટે અખબારી યાદી દ્વારા સુકારા અને લીલી ઈયળોના નિયંત્રણ માટેના પગલાં સૂચવવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સુકારો સામાન્ય રીતે જમીનજન્ય અને બીજજન્ય રોગ છે, તેથી બીજ માવજત કરવી જરૂરી છે, જેનાથી જમીનજન્ય રોગ અટકાવી શકાય છે. ઈયળોના નિયંત્રણ માટે આખું IPM (ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ) અપનાવવું જોઈએ, જેથી ખેડૂતો સારું પરિણામ મેળવી શકે. ખેડૂતો જંતુનાશક દવાનો પણ ઉપયોગ કરી રહ્યા છે.
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC), ગાંધીનગર દ્વારા આયોજિત રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-3ની લેખિત પરીક્ષા આવતીકાલે, 4 જાન્યુઆરી, 2026ના રોજ યોજાશે. આ પરીક્ષા સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ કેન્દ્રો પર સવારે 11 થી 1 કલાક દરમિયાન લેવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મહત્વપૂર્ણ સ્પર્ધાત્મક પરીક્ષાના સફળ અને પારદર્શક સંચાલન માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આ પરીક્ષા માટે શાળા અને કોલેજો સહિત કુલ 12 પેટા કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. આ કેન્દ્રો પર સમગ્ર જિલ્લામાંથી કુલ 2598 ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષા પ્રક્રિયાને વધુ સુચારૂ બનાવવા માટે જિલ્લા તંત્ર દ્વારા કુલ 109 બ્લોકની ફાળવણી કરવામાં આવી છે. પરીક્ષાની ગરિમા જળવાય અને કોઈ પણ ગેરરીતિ ન થાય તે માટે દરેક કેન્દ્ર પર જવાબદાર ઇન્ચાર્જ અધિકારીઓ અને કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. રતનપર વિસ્તારમાં આવેલ નીલકંઠ વિદ્યાલય ખાતે 192, શ્રી દર્શન વિદ્યાલય ખાતે 240 અને શ્રી શિખર વિદ્યાલય ખાતે 240 ઉમેદવારો માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જોરાવરનગર વિસ્તારમાં પી.જી.એન.એમ.એસ. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે 240, શ્રી ડી.એન.ટી. હાઈસ્કૂલ ખાતે 192 અને શ્રીમતી સવિતાબેન વાડીલાલ વકીલ માધ્યમિક શાળા ખાતે 240 ઉમેદવારો માટે વ્યવસ્થા કરવામાં આવી છે. વઢવાણ વિસ્તારની સંકલ્પ વિદ્યાલય ખાતે 102 ઉમેદવારો પરીક્ષા આપશે. સુરેન્દ્રનગર શહેરના મુખ્ય વિસ્તારોમાં આવેલી શ્રીમતી સદગુણાબેન સી. યુ. શાહ મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે 192, આર.પી.પી. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે 240, ઇન્ડિયન પબ્લિક સ્કૂલ ખાતે 240, સની સ્કાય ઇંગ્લિશ હાઈસ્કૂલ ખાતે 240 અને અલ્ટ્રા વિઝન એકેડમી ખાતે 240 પરીક્ષાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
અમદાવાદના નિવૃત્ત પ્રોફેસરને અજાણ્યા શખસોએ ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા 7.12 કરોડ પડાવ્યા હતા. આ અંગે સાયબર ક્રાઈમે સાયબર ગઠિયાઓને એકાઉન્ટ અને ફ્રોડના નાણા કમિશન લઈ ક્રિપ્ટો કરન્સીમાં મોકલનાર એજન્ટ અને એકાઉન્ટ હોલ્ડરની ધરપકડ કરી છે. સાયબર ક્રાઈમે 3 એકાઉન્ટ હોલ્ડર અને અન્ય એકાઉન્ટ પૂરા પાડનાર સહિત કુલ 12 આરોપીઓની ધરપકડ કરી છે. 10 આરોપીઓએ સ્કૂલનો અભ્યાસ પણ પૂરો કર્યો નથી જ્યારે અન્ય બે આરોપીઓ ગ્રેજ્યુએટ છે. નિવૃત્ત પ્રોફેસરને 20 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી 7.12 કરોડ પડાવ્યાઅમદાવાદના સિનિયર સિટીઝન અને નિવૃત્ત પ્રોફેસરને અજાણ્યા શખસોએ સેલિબ્રિટીને પોર્નોગ્રાફી વીડિયો મોકલવા અને મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનું કહી 20 દિવસથી વધુ ડિજિટલ એરેસ્ટ કરી કર્યા હતા. આ દરમિયાન સાયબર ઠગોએ નિવૃત્ત પ્રોફેસર પાસેથી 7.12 કરોડ રૂપિયા પણ પડાવ્યા હતા. જોકે, આ મામલે નિવૃત્ત પ્રોફેસરે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. કંબોડિયાની ગેંગે નિવૃત્ત પ્રોફેસરને ડિજિટલ એરેસ્ટ કર્યા હતાપોલીસ દ્વારા આ મામલે તપાસ કરતા અમદાવાદ અને સુરત ખાતેથી કુલ 12 જેટલા આરોપીઓની ડિજિટલ એરેસ્ટ કેસમાં ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, નિવૃત્ત પ્રોફેસરને જે નંબર પરથી કોલ આવ્યો હતો તે કંબોડિયાથી આવ્યો હતો. એટલે કે, ડિજિટલ એરેસ્ટ કંબોડિયાની ગેંગ દ્વારા કરવામાં આવ્યા હતા. આરોપીઓના નામ દશરથ નાયક (ઉ.વ. 44, રહે. વેજલપુર, અમદાવાદ) અભ્યાસ: ધોરણ 7ધંધો: રિક્ષા ચાલક બ્રિજેશ શાહ (ઉ.વ. 38, રહે. વેજલપુર અમદાવાદ)અભ્યાસ: ધોરણ 12ધંધો: રિક્ષા ચાલક હિતેન્દ્ર સોલંકી (ઉ.વ. 39, રહે. વેજલપુર, અમદાવાદ)અભ્યાસ: ધોરણ 8ધંધો: ડ્રાઇવિંગ વિજય કુમાર કોરી (ઉ.વ. 44, રહે. સરદારનગર, અમદાવાદ)અભ્યાસ: ધોરણ 11 નયન પટેલ (ઉ.વ. 42, રહે. નિકોલ, અમદાવાદ)અભ્યાસ: BA જલદીપ ડાખરા (ઉ.વ. 32, રહે. સુરત)અભ્યાસ: ધોરણ 12 રોહન પટેલ (ઉ.વ. 24, રહે. સુરત)અભ્યાસ: ધોરણ 10 સુનિલ ધામેચા (ઉ.વ. 28, રહે. સુરત)અભ્યાસ: ધોરણ 9 જનક ગઢદરા (ઉ.વ. 30, રહે. સુરત)અભ્યાસ: ધોરણ 12 રાહુલ મોરડીયા (ઉ.વ. 33, રહે. સુરત)અભ્યાસ: ધોરણ 9 અનિલ મોરડીયા (ઉ.વ. 41, રહે. સુરત)અભ્યાસ: ધોરણ 4 અનિકેત ઢોલા (ઉ.વ. 22, રહે. સુરત)અભ્યાસ: BSC આરોપીઓ આ રીતે નાણા ટ્રાન્જેક્શનનો ખેલ પાડતાઆરોપી દશરથે તેના ખાતામાં આવેલા ફ્રોડના રૂપિયા 1.10 લાખ અન્ય ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા અને તે ખાતું કમિશનથી બ્રિજેશ શાહ મારફતે હિતેન્દ્ર સોલંકીને આપ્યું હતું. હિતેન્દ્ર સોલંકી રૂપિયા 25,000 કમિશન મેળવી તે એકાઉન્ટ રાજસ્થાનના આરોપીને મોકલી આપ્યું હતું. વિજય કોરીએ તેના ખાતમાં આવેલા ફ્રોડના રૂપિયા 2.12 લાખ ચેક અને ATMથી ઉપાડી બીજા ખાતામાં જમા કરાવ્યા બાદ ફોન પે દ્વારા અન્ય ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. 1% કમિશનથી એકાઉન્ટ નયન પટેલને આપ્યું હતું. જલદીપના ખાતામાં 7.90 લાખ રૂપિયા આવ્યા હતા. જલદીપે રોહન અને સુનિલ સાથે મળી બેંકમાં જઈ પૈસા ઉપાડી તે પૈસામાંથી કમિશન બાક કરી જનકને આપ્યા હતા. જનકે ટેલિબ્રેમ ચેનલ મારફતે ફ્રોડના પૈસા ક્રિપ્ટોમાં કન્વર્ટ કરી ચાઇનીઝ ગેંગને પહોંચાડ્યા હતા. રાહુલ, અનિલ અને અનિકેતના ખાતામાં 2.95 કરોડ રૂપિયા આવ્યા હતા. જેમાંથી 10% કમિશન લઈ આ નાણા ઉપાડી બાકીના ચાઇનીઝ ગેંગને મોકલી આપ્યા હતા. પોલીસે અમદાવાદ અને સુરતના 12 આરોપીની ધરપકડ કરીકંબોડિયાથી ડિજિટલ એરેસ્ટ કર્યા બાદ નિવૃત્ત પ્રોફેસર પાસેથી કરોડોની રકમ ચાર એકાઉન્ટમાં RTGS દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ ચાર એકાઉન્ટ બિહાર, દિલ્હી અને આસામના હતા. એકાઉન્ટમાં કરોડો રૂપિયા આવ્યા બાદ ભારતભરના 20 અલગ અલગ રાજ્યોના 100થી વધુ ખાતામાં કરોડો રૂપિયાની રકમ ટુકડે ટુકડે ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ ખાતામાંથી 6 ખાતા ગુજરાતના હતા. જેથી પોલીસે અમદાવાદ અને સુરત ખાતેથી ખાતાધારક અને કમિશન પર એકાઉન્ટ પુરા પાડનાર અને ફ્રોડના નાણા કમિશન કાપીને ક્રિપ્ટોમાં કન્વર્ટ કરી આપનાર 12 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. 10% કમિશન બાદ ક્રિપ્ટોમાં કન્વર્ટ કરી રૂપિયા ચાઇનીઝ ગેંગને મોકલતાઆરોપીઓ પૈકી જનક અને અનિકેત નામના આરોપી ટેલિગ્રામ મારફતે ચાઇનીઝ ગેંગ સાથે જોડાયેલા હતા. જેઓ ફ્રોડના નાણા ખાતામાં આવ્યા બાદ 10% કમિશન લઈ બાકીની રકમ ક્રિપ્ટોમાં કન્વર્ટ કરી ચાઇનીઝ ગેંગને મોકલતા હતા. હિતેન્દ્ર નામનો આરોપી એક વર્ષથી રાજસ્થાનના એક વ્યક્તિ સાથે જોડાયેલો હતો. હિતેન્દ્ર રૂપિયા 25 હજારના કમિશન પર બેંક એકાઉન્ટ પુરૂ પાડતો હતો. ફ્રોડના નાણા ખાતામાં આવ્યા બાદ તે ઉપાડીને ક્રિપ્ટોમાં કન્વર્ટ કરીને આપતા હતા. આરોપીઓ એક-દોઢ વર્ષથી ચાઇનીઝ ગ્રુપ સાથે કોન્ટેક્ટમાં હતા. પોલીસે 16 મોબાઈલ ફોન સહિત 2.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યોપોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપીઓના મોબાઈલમાંથી મળી આવેલા એકાઉન્ટની વિગત પર સમગ્ર ભારતભરમાં 238 ફરિયાદ નોંધાયેલી છે. આરોપીઓ કંબોડિયા ખાતેથી ડિજિટલ સાયબર ક્રાઈમ કોલ સેન્ટર ચલાવતી ગેંગ સાથે જોડાયેલા છે. આરોપીઓ પાસેથી 16 મોબાઈલ ફોન અને 1.73 લાખની રોકડ સહિત કુલ 2.94 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બે આરોપીઓએ ફ્રોડના નાણાથી સોનું ખરીદવાનો પ્લાન બનાવ્યો હતોસુરતના રાહુલ મોરડીયા અને અનિકેત ઢોલાએ તો ફ્રોડના નાણા એક સોનીના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા અને સોનીની દુકાને જઈ તે ફ્રોડના નાણામાંથી સોનું ખરીદ્યું અને તેને બહાર વેચીને રોકડ રકમ મેળવવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ સોનીના ખાતમાં અજાણ્યા ખાતા પરથી પૈસા આવતા સોનીએ સોનું આપવાની ના પાડીને તેમના પોતાના ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. સોનીએ ફ્રોડની જે રકમ આવી તે રકમ જે ખાતામાંથી આવી હતી તે જ ખાતામાં પરત પણ મોકલી હતી. પોલીસની મ્યૂલ એકાઉન્ટ સામેની ડ્રાઈવના વીડિયો ચાઇનીઝ ગેંગને મોકલ્યોએકાઉન્ટ પૂરું પાડનાર શખસોએ ટેલિગ્રામમાં ગુજરાત પોલીસની મ્યૂલ એકાઉન્ટ સામેની ડ્રાઈવના વીડિયો મોકલ્યા હતા. અહીંયા ચાલી રહેલી ડ્રાઈવથી કેવી રીતે બચી શકાય તે માટે પણ ચાઇનીઝ ગેંગ પાસે સલાહ માગી હતી.
ભરૂચના ચિત્રકૂટ સોસાયટી, તુલસીધામ વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાને પાર્સલ આપવાના બહાને ઘરની બહાર બોલાવી ગળામાંથી ચેન ઝૂંટવાનો પ્રયાસ કરનાર શાતિર ચેન સ્નેચરને ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. પોલીસે વડોદરાના અકોટાની રાધાકૃષ્ણ પાર્કમાં થયેલી ચેન સ્નેચિંગનો પણ ગુનો ઉકેલી નાખ્યો છે. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી.એ. ડોડીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એન. ચૌધરી અને સર્વેલન્સ ટીમના જવાનો પેટ્રોલિંગમાં હતા. તેમને મળેલી બાતમીના આધારે સફેદ એક્ટીવા મોપેડ (નં. GJ-06-SK-3906) સાથે આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીએ ભરૂચ ઉપરાંત વડોદરા શહેરમાં પણ આ જ કાર્યપ્રણાલી (મોડસ ઓપરેન્ડી) થી ચેન સ્નેચિંગ કર્યાની કબૂલાત કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પાર્સલ આપવાના બહાને વૃદ્ધોને નિશાન બનાવતો હતો. આરોપી અગાઉ ગુજરાતભરમાં 20થી વધુ ચેન સ્નેચિંગના ગુનામાં પકડાઈ ચૂક્યો છે.હાલ તેની વિરુદ્ધ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સાથે વડોદરા પોલીસને પણ તેની જાણ કરવામાં આવી છે.
અમદાવાદમાં આવેલી પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજની પ્લેસમેન્ટ સેલ તથા ઓલ ઈન્ડિયા વુમન્સ ઓર્ગેનાઈઝેશન શક્તિ મંચનાં સંયુક્ત ઉપક્રમે એક સપ્તાહીય બ્યુટી વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ વર્કશોપનો હેતુ વિદ્યાર્થિનીઓને સૌંદર્યક્ષેત્રમાં વ્યાવસાયિક કુશળતા, આત્મવિશ્વાસ અને રોજગારલક્ષી તાલીમ પૂરી પાડવાનો હતો. એક સપ્તાહ દરમિયાન સ્કિન કેર, હેર સ્ટાઈલિંગ, મેઇકઅપના મૂળભૂત તથા આધુનિક ટ્રેન્ડ્સ, હાઈજીન અને સેલ્ફ-ગ્રૂમિંગ જેવા વિષયો પર પ્રાયોગિક તાલીમ આપવામાં આવી. વિશેષજ્ઞ ટ્રેનર્સ દ્વારા ડેમોન્સ્ટ્રેશન સાથે હેન્ડ્સ-ઓન પ્રેક્ટિસ કરાવવામાં આવી, જેના કારણે વિદ્યાર્થિનીઓને વ્યવહારુ અનુભવ પ્રાપ્ત થયો. વર્કશોપ દરમિયાન કરિયર માર્ગદર્શન, ફ્રીલાન્સિંગ અને ઉદ્યોગસાહસિક તકો વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સમગ્ર આયોજન માટે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એન. ડી. શાહનું માર્ગદર્શન અને ડૉ. અરુણ મેનન તથા પ્લેસમેન્ટ સેલ નાં કોઓર્ડિનેટર પ્રોફેસર ડી. બી. બંધિયા નો સહયોગ નોંધપાત્ર રહ્યો. અંતે ભાગ લેનાર વિદ્યાર્થિનીઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા અને કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો
ગાંધીનગરના લોકભવન ખાતે રાજ્યના નવા ઈન્ચાર્જ DGP ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. રાજ્યપાલએ પુષ્પગુચ્છ આપી તેમનું સ્વાગત કરતા ઈન્ચાર્જ DGP તરીકેની જવાબદારી સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં. સાયબર ક્રાઈમ સામે ટેકનોલોજી આધારિત કાર્યવાહી પર ભારમુલાકાત દરમિયાન ડૉ. રાવે પોલીસ વિભાગમાં આધુનિક ટેકનોલોજીના વધતા ઉપયોગ અને તેના દ્વારા રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવાની દિશામાં ચાલી રહેલા પ્રયાસોની માહિતી આપી હતી. ખાસ કરીને સાયબર ક્રાઈમના વધતા કેસોને ધ્યાનમાં રાખીને પીડિતોને ઝડપથી ન્યાય મળે તે માટે પોલીસ ગંભીરતાથી કામ કરી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. સાથે જ સાયબર ગુનાઓથી બચવા લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે વિવિધ અભિયાન અને કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા હોવાનું પણ તેમણે સ્પષ્ટ કર્યું. 'પોલીસ ગામડાં સુધી પહોંચી લોકો સાથે આત્મીય સંવાદ કરે ત્યારે વિશ્વાસ વધે'રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોલીસ અને નાગરિકો વચ્ચે સીધો સંવાદ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. રાજ્યપાલે જણાવ્યું હતું કે, જ્યારે પોલીસ ગામડાં સુધી પહોંચી લોકો સાથે આત્મીય સંવાદ કરે છે ત્યારે પોલીસ પ્રત્યે વિશ્વાસ વધે છે. રાજ્યપાલએ જનસેવા કેન્દ્રિત પોલીસિંગને વધુ મજબૂત બનાવવાના પ્રયાસોને સતત પ્રોત્સાહન આપવાની સૂચના આપી હતી. આ મુલાકાતને રાજ્યમાં કાયદો-વ્યવસ્થાના નવા દિશાસૂચક પગથિયાં તરીકે જોવામાં આવી રહી છે, જેમાં ટેકનોલોજી અને જનવિશ્વાસ—બન્ને પર સમાન ભાર મૂકવામાં આવ્યો છે.
જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશભાઈ સાવલિયા વિરુદ્ધ નોંધાયેલી પોલીસ ફરિયાદ અને જેલમાં થયેલી માથાકૂટને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, ભાજપ સરકાર પોલીસ અને વહીવટી તંત્રનો દુરુપયોગ કરીને 'આપ'ના નેતાઓને જેલમાં રાખવા માટે ખોટા ષડયંત્રો રચી રહી છે મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે વિસાવદર પંથકમાં મગફળીના ખરીદી કેન્દ્રો પર ખેડૂતો પાસે ગેરકાયદેસર રીતે પૈસા પડાવવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી હતી. આ અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે હરેશભાઈ સાવલિયા પોતાની ટીમ સાથે ગ્રાઉન્ડ પર પહોંચ્યા હતા. ખેડૂતોના હિતમાં રજૂઆત કરવી ભાજપના મળતિયાઓને ખૂંચી હતી. પરિણામે, ભાજપના ઈશારે પોલીસનો ઉપયોગ કરી હરેશભાઈ પર એટ્રોસિટી અને હત્યાની કોશિશ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી તેમને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે.આપ નેતાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે હરેશભાઈ જ્યારે જેલમાં હતા ત્યારે ત્યાં પૂર્વનિયોજિત કાવતરાના ભાગરૂપે 7 થી 8 ખૂંખાર કેદીઓએ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં હરેશભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હોવા છતાં, ઉલટું તેમના પર જ જેલની અંદર એટ્રોસિટીની ખોટી ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે કેદીએ હરેશભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે તેના ગુનાહિત ઈતિહાસ અંગે સવાલો ઉઠાવતા સોરઠીયાએ કહ્યું કે, ફરિયાદી પોતે રીઢો ગુનેગાર છે. તેના પર એક દીકરીના ગળા પર ચાકુ રાખી લૂંટ કરવાનો અને પોલીસ પર હુમલો કરવાના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આવા ગુનેગારોનો ઉપયોગ કરીને એક જનપ્રતિનિધિની છબી ખરડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મનોજ સોરઠીયાએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે સંત અને શૂરાઓની આ ગીરની પવિત્ર ધરતી પર અત્યારે અનૈતિક લોકો સત્તા ભોગવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી સત્તામાં બેઠેલી ભાજપ પાસે હવે જનતા વચ્ચે જવાના કોઈ મુદ્દા નથી રહ્યા, એટલે તેઓ આમ આદમી પાર્ટીના નેતાઓનું મનોબળ તોડવા જેલ અને પોલીસનો સહારો લઈ રહ્યા છે. મગફળીના કેન્દ્રો પર થતો ભ્રષ્ટાચાર રોકવો એ શું ગુનો છે ? .ખેડૂતો અને જનતાના પ્રશ્નો માટે તેમની લડાઈ ચાલુ રહેશે. મનોજ સોરઠીયાએ અંતમાં જણાવ્યું કે, અમને ભારતના ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસો છે. કોર્ટમાં કેસ પેન્ડિંગ છે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. સત્તામાં બેઠેલા અહંકારી લોકોને જનતા આગામી સમયમાં ચોક્કસ પાઠ ભણાવશે.હાલમાં આ મુદ્દો સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. 'આપ' દ્વારા આ મામલે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની અને જનતા વચ્ચે જઈને ભાજપની 'તાનાશાહી' ખુલ્લી પાડવાની રણનીતિ ઘડવામાં આવી રહી છે..
મહેસાણાના ફતેપુરા સર્કલ પાસે વર્ષ 2021માં ઝડપાયેલા રૂ.26.21 લાખના ચરસના જથ્થાના પ્રકરણમાં મહત્વનો નિર્ણય આવ્યો છે. આ કેસમાં ચરસનો જથ્થો મંગાવનાર આરોપી એઝાઝ ઇસ્માઇલ અબ્બાસ દ્વારા મૂકવામાં આવેલી આફ્ટર ચાર્જશીટ રેગ્યુલર જામીન અરજી મહેસાણા સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. 26.21 લાખના ચરસનો જથ્થો મળ્યો હતોઘટનાની વિગત મુજબ, ઓક્ટોબર 2021ના રોજ સવારે 10.30 વાગ્યે મહેસાણા ફતેપુરા બાયપાસ પર પોલીસ દ્વારા વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન એક ઝાયલો ગાડીની તલાશી લેતા તેમાંથી રૂ. 26, 21, 250ની કિંમતનો ચરસનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ચરસના જથ્થા સાથે રૂ. 1,09,500ની રોકડ રકમ અને ગાડી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. નશાનો જથ્થો મુંબઈ લઈ જવામાં આવી રહ્યો હતોપોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, આ નશાનો જથ્થો મુંબઈ લઈ જવામાં આવી રહ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા એઝાઝ ઇસ્માઇલ અબ્બાસે જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી. આરોપીની જામીન અરજી નામંજૂર જોકે, આ કેસમાં સરકારી વકીલ પરેશકુમાર દવેએ ધારદાર દલીલો રજૂ કરી હતી. તેમણે ગુનાની ગંભીરતા અને પુરાવાઓને ધ્યાને રાખીને આરોપીને જામીન ન આપવા રજૂઆત કરી હતી. સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી મહેસાણા સેશન્સ કોર્ટના જજ એમ.એફ. ખત્રીએ આરોપીની જામીન અરજી નામંજૂર કરી છે.
બનાસકાંઠામાં 3 અને 4 જાન્યુઆરીએ ખાસ મતદાર ઝુંબેશ:SIR–2026 અંતર્ગત વૈકલ્પિક વ્યવસ્થા સાથે યોજાશે
બનાસકાંઠામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR–2026) અંતર્ગત 3 અને 4 જાન્યુઆરી, 2026ના રોજ વિશેષ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. 4 જાન્યુઆરીએ રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા હોવાથી મતદારોને અસુવિધા ન થાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઝુંબેશ દરમિયાન, તમામ બૂથ લેવલ ઓફિસરો (BLO) તેમના નિયત મતદાન મથક પર સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી હાજર રહેશે. તેઓ મતદારો પાસેથી ફોર્મ-6, ફોર્મ-7 અને ફોર્મ-8 મેળવવાની તેમજ નો-મેપિંગ યાદીમાં સમાવિષ્ટ મતદારોના યોગ્ય આધાર-પુરાવા એકત્ર કરવાની કામગીરી કરશે. ઉલ્લેખનીય છે કે, 4 જાન્યુઆરી, 2026ના રોજ ગુજરાત રાજ્ય સેવા આયોગ દ્વારા રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા યોજાવાની છે. આ કારણે 12-પાલનપુર વિધાનસભા મતદાર વિભાગના કુલ 33 મતદાન મથકોનો ઉપયોગ પરીક્ષા કેન્દ્ર તરીકે કરવામાં આવશે. આ મતદાન મથકો પર મતદારયાદી સંબંધિત કામગીરી માટે BLOs માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. સંસ્કાર વિદ્યાલય (જુના લક્ષ્મીપુરા), વી.આર. વિદ્યાલય (આદર્શ), ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.), નૂતન હાઈસ્કૂલ (હનુમાન ટેકરી), સરસ્વતી હાઈસ્કૂલ, સ્વસ્તિક હાઈસ્કૂલ અને બી.કે. ભણસાલી વિદ્યામંદિર કેમ્પસ ખાતેના BLOs 4 જાન્યુઆરીએ જુના લક્ષ્મીપુરા પ્રાથમિક શાળા, જી.ડી. મોદી કોલેજ, જામપુરા પ્રાથમિક શાળા, નવી ઢુંઢીયાવાડી પ્રાથમિક શાળા અને મીરાં ગેટ પ્રાથમિક શાળા જેવા વૈકલ્પિક સ્થળોએ હાજર રહેશે. બનાસકાંઠાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા જણાવાયું છે કે આ વૈકલ્પિક વ્યવસ્થા ફક્ત 4 જાન્યુઆરી, 2026 માટે જ લાગુ પડશે, જેની જાહેર જનતાએ નોંધ લેવી.
મકાનની છત પરથી પટકાતા મજૂરનું મોત:છોટા ઉદેપુરની ગુરુકૃપા સોસાયટીમાં નિર્માણાધિન મકાનમાં દુર્ઘટના
છોટા ઉદેપુર નગરની ગુરુકૃપા સોસાયટીમાં આજે સવારે એક નિર્માણાધિન મકાનની છત પરથી પટકાતા એક મજૂરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરુકૃપા સોસાયટીમાં નિર્માણાધિન મકાનના બીજા માળ પર કામ ચાલી રહ્યું હતું. કનાસ ગામના અરવિંદભાઈ રાઠવા નામના કારીગર સેન્ટિંગનું કામ કરી રહ્યા હતા. કામ દરમિયાન નીચેથી ટેકો ખસી જતાં અરવિંદભાઈ બીજા માળેથી જમીન પર પટકાયા હતા. તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ અકસ્માતની જાણ થતાં છોટા ઉદેપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માઉન્ટ આબુ મિલિટરી સ્ટેશન ખાતે NCC કેડેટ્સ માટે આધુનિક ડ્રોન તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 23 રાજપૂત ટીમના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમ સાથે SVIM ઇન્સ્ટિટ્યૂટ, માઉન્ટ આબુ ખાતે RCTC કેમ્પનો સમાપન સમારોહ પણ સંપન્ન થયો હતો. આ પ્રસંગે 35 ગુજરાત બટાલિયન NCC, પાલનપુર (અમદાવાદ ગ્રુપ)ના ઓફિસિયેટિંગ કમાન્ડિંગ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ પ્રીતિ તિવારી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કેડેટ્સને સંબોધન કરતાં સૈન્ય, સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રમાં આધુનિક ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીના મહત્વ વિશે સમજાવ્યું હતું. ડ્રોન તાલીમ દરમિયાન કેડેટ્સને ડ્રોનની કાર્યપદ્ધતિ, નિયંત્રણ પ્રક્રિયા અને તેના વિવિધ ઉપયોગો અંગે પ્રાયોગિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ તાલીમથી કેડેટ્સમાં નવી ટેકનોલોજી અંગે જાગૃતિ વધવાની સાથે તેમનો આત્મવિશ્વાસ પણ વધ્યો હોવાનું કેડેટ્સે જણાવ્યું હતું. NCC કેડેટ્સ માટે RCTC કેમ્પ અને ડ્રોન તાલીમનો આ અનુભવ તેમના માટે અત્યંત ઉપયોગી અને પ્રેરણાદાયક રહ્યો છે. ભવિષ્યમાં આ તાલીમ તેમના નેતૃત્વ ગુણોના વિકાસ અને કારકિર્દી ઘડતરમાં મહત્વપૂર્ણ સાબિત થશે.
રાજકોટમાં શિયાળાની કડકડતી ઠંડી શરૂ થઇ છે. પરંતુ દર વર્ષની જેમ રાજકોટની જીવાદોરી સમાન આજી-1 ડેમમાં ચાલુ મહિનાના અંત સુધી ચાલે તેટલું જ પાણી હોવાથી અગાઉ નર્મદાનાં નીરની માંગ કરવામાં આવી હતી. જે અંતર્ગત આજી-1 જળાશયમાં સૌની યોજના અંતર્ગત નર્મદા નીર ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું છે. હાલ માત્ર આજી ડેમમાં પાણી ઠલવવામાં આવશે. 15 જાન્યુઆરી બાદ ન્યારી ડેમમાં પણ સિંચાઇ વિભાગ પાણી આપે તેવી શકયતા છે. આમ ઉનાળામાં પાણીની મુશ્કેલી નિવારવા અત્યારથી તૈયારી કરવામાં આવી રહી છે. પ્રાપ્ત વિગત મુજબ આજથી બે માસ પૂર્વે મહાપાલિકા દ્વારા રાજ્ય સરકાર પાસે શહેરના બે મુખ્ય જળાશયો આજી અને ન્યારી ડેમમાં 3150 એમસીએફટી નર્મદાના નીર ઠાલવવાની માગણી કરવામાં આવી હતી. આ બાદ ગઈકાલથી આજી-1 ડેમમાં સૌની યોજનાના પાણી શરૂ થયા છે. દરવર્ષે ચોમાસામાં આજી અને ન્યારી ડેમ ઓવરફ્લો થાય તો પણ ચોમાસા સુધી પાણી વિતરણ વ્યવસ્થા જાળવી રાખવા માટે બંને જળાશયોમાં દર વર્ષે 2600 એમસીએફટી નર્મદાના નીર ઠલવવા પડે છે. ચાલુ વર્ષે હવે સૌરાષ્ટ્ર બ્રાન્ચ નર્મદા કેનાલની મરામતની ગત વર્ષે મોકુફ રાખવામાં આવેલી કામગીરી પણ સરકાર ઉનાળામાં કરવાની છે. આથી એપ્રિલ-મે માસ દરમિયાન રાજકોટને નર્મદાના નીર મળે તેમ નહીં હોવાના કારણે કોર્પોરેશન દ્વારા 2600 એમસીએફટીના બદલે રાજ્ય સરકાર પાસે 3150 એમસીએફટી નર્મદાના નીરની માગણી કરવામાં આવી હતી. સરકારે માંગણી મુજબની તારીખથી નર્મદા નીર શરૂ કર્યા છે. આજી-1 ડેમમાં ગઈકાલે સૌની યોજના અંતર્ગત 7 એમસીએફટી પાણી મળ્યું છે. ડેમમાં પ્રથમ તબક્કે કેટલું પાણી લેવું તે અંગે આવતા સપ્તાહે નિર્ણય લેવામાં આવશે. ન્યારી-1 ડેમમાં હજુ 15 જાન્યુઆરી બાદ સૌની યોજનાના પાણી શરૂ થાય તેમ છે. મોટા ભાગે નર્મદા કેનાલનું રીપેરીંગ કામ મહાપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજયની ચૂંટણી બાદ થાય તેવી શકયતા છે. કારણ કે ઉનાળામાં બે દિવસ રાજકોટ તથા અન્ય શહેરોને પણ પાણી બંધ થશે. આથી સરકાર જયાં જરૂર હોય ત્યાં ઉનાળા પહેલા પાણી આપી દેવા માંગે છે. રાજકોટ શહેરને પીવાનુ પાણી પુરુ પાડતા આજી અને ન્યારી ડેમમાં પાણી ઓછું થતું જતું હોય રજુઆત પરથી મચ્છુ ડેમ ખાતેથી પંમ્પીંગ કરી બે દિવસ પહેલા પાણી છોડવામાં આવતા ગઇકાલથી પાણી શરૂ થયું છે. આજી અને ન્યારી ડેમ આ વર્ષે પણ છલકાયા હતા. પરંતુ હવે માત્ર ડેમ આધારીત પાણી વિતરણ વ્યવસ્થા પુરૂ વર્ષ ચાલતી નથી. શહેરમાં રોજ 20 મીનીટ પાણી માટે બંને જળાશયોમાં દર વર્ષે 2600 એમસીએફટી નર્મદાના નીર ઠલવવા પડે છે. રાજકોટનો આજી-1 ડેમ પૂર્વ ઝોન માટે અને ન્યારી-1 ડેમ પશ્ચિમ ઝોન માટે મુખ્ય આધાર સમાન છે. તેમજ ભવિષ્યમાં વેસ્ટ તરફ મહાનગરનો વધુ વિકાસ થવાનો છે. આ કારણે તાજેતરમાં ન્યારી ડેમ ઉપર નવો WTP પ્રોજેકટ પણ મંજુર કરાયો છે. આજી માટે પણ આવી જ યોજના મંજૂર થવાની છે. પરંતુ ડેમોની સંગ્રહ ક્ષમતા દાયકાઓ પહેલા હતી એટલી જ છે. હાલ આજી ડેમમાં વર્ષમાં કમ સે કમ બે અને વધુમાં વધુ ત્રણ વખત નર્મદા યોજનાના પાણી લેવા પડે છે તે હકીકત છે. રાજકોટમાં ગમે તેટલો વરસાદ પડે પરંતુ આજી અને ન્યારી ડેમમાં સૌની યોજનાનું પાણી લીધા વગર દૈનિક પાણી વિતરણ શકય નથી.
નેશનલ રોડ સેફ્ટી મંથ-૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લા આર.ટી.ઓ. કચેરી દ્વારા વેરાવળ એસ.ટી. ડેપો ખાતે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય માર્ગ અકસ્માતો ઘટાડવા અને વાહનચાલકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા આર.ટી.ઓ. કચેરીના અધિકારીઓ પી.એન. માંગુકિયા અને એન.જે. ગુજરાતી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ડેપોના ડ્રાઈવર અને અન્ય સ્ટાફને રોડ સેફ્ટી, ટ્રાફિક નિયમો અને ટ્રાફિક સિગ્નલો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. અધિકારીઓએ વાહન ચલાવતી વખતે જરૂરી સાવચેતી રાખવા પર ભાર મૂક્યો હતો. જેમાં ફરજ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો, ફરજિયાત સીટ બેલ્ટ પહેરવો અને ઓવરટેકિંગ કરતી વખતે વિશેષ કાળજી રાખવી જેવી બાબતોનો સમાવેશ થાય છે. માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવાથી અકસ્માતોમાં કેવી રીતે ઘટાડો શક્ય બને છે તે અંગે ઉદાહરણો સાથે સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ડેપો મેનેજર અને આર.ટી.ઓ. અધિકારીઓ દ્વારા ઉપસ્થિત તમામ કર્મચારીઓને રોડ સેફ્ટીની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે વાહન ચલાવતી વખતે રાખવાની જરૂરી કાળજી અંગેના માર્ગદર્શક પેમ્ફલેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રયાસ દ્વારા એસ.ટી. કર્મચારીઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ વધારવા સાથે સમાજમાં પણ સલામત વાહન વ્યવહારનો સંદેશ પહોંચાડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરાયો હતો.
21 જાન્યુઆરીથી PSI- લોકરક્ષકની શારીરિક કસોટી 21 જાન્યુઆરીથી PSI અને લોકરક્ષકની શારીરિક કસોટી શરૂ થશે. શારીરિક કસોટી માટેના કોલલેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા અંગેની વિગત ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ગુજરાત ATSએ પકડેલા આતંકી કેસની તપાસ NIA કરશે ગુજરાત ATSએ પકડેલા 3 આતંકી કેસમાં હવે NIAને તપાસ સોંપવામાં આવી છે.NIAની અમદાવાદ યુનિટ આ આતંકી નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરશે. આતંકીઓ ખોરાક કે પાણીમાં રાઇઝિન ઝેર ભેળવી મોટા પાયે જાનહાનિ કરવા માગતા હતા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો અંબાજીમાં આજે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું આજે આદ્યશક્તિ મા અંબાનો પ્રાગટ્ય પર્વ હોવાથી અંબાજી ભક્તિના રંગે રંગાયું.હાથી પર સવાર થઈ માતાજી નગરચર્યાએ નીકળ્યાં. શોભાયાત્રામાં હજારો ભક્તો ઢોલ-નગારાંના તાલે ઝૂમી ઊઠ્યા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ગાંધીનગરમાં ટાઇફોઇડના 100થી વધુ કેસ નોંધાયા ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો. 100થી વધુ લોકોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અનેક લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.પીવાની પાણીની લાઈનમાં 10થી વધુ જગ્યાએ ગટરનું પાણી ભળી ગયું હોવાનું જાણવા મળ્યું છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો પાટીદાર હોસ્ટેલની FSI મુદ્દે AAP દ્વારા વિરોધ સુરતમાં CMના કાર્યક્રમ પહેલાં 'પોસ્ટર વોર'થી રાજકારણ ગરમાયું છે.લેઉવા પાટીદાર સમિતિ દ્વારા આયોજિત 'રાજશ્રી સન્માન સમારોહ' પૂર્વે આમ આદમી પાર્ટીએ પાટીદાર હોસ્ટેલ માટે વસૂલવામાં આવતી 3 કરોડની પેઇડ FSI મુદ્ ભારે વિરોધ નોંધાવ્યો. કાર્યકરોએ કાર્યક્રમના બેનર પર પોસ્ટર લગાવ્યા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સરકારી કચેરીઓ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખવા ઈટાલિયાની માગ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ CMને પત્ર લખી સરકારી કચેરીઓ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખવા માગ કરી. તેમણે સવાલ કરતા કહ્યું કે,ટોલનાકા અને પોલીસ સ્ટેશન રાતે ખુલ્લા રહી શકે તો સરકારી કચેરીઓ કેમ નહીં? આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો વજુભાઈ વાળાના ડ્રાઈવરે સાઈનબોર્ડ ઉખેડવાનો પ્રયાસ કર્યો રાજકોટના એથ્લેટિક્સ ગ્રાઉન્ડ પાસે પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાના ડ્રાઈવરે સાઈનબોર્ડ ઉખેડવાનો પ્રયાસ કર્યો. આ અંગે ભાસ્કરે વજુભાઈને સવાલ કરતા તેમણે કહ્યું કે, મારા ડ્રાઈવર બદલતા રહે છે,એટલે વીડિયોમાં દેખાય છે તે વ્યક્તિ કોણ છે તેનો ખ્યાલ નથી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો PM મોદી 11 જાન્યુઆરીથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે PM નરેન્દ્ર મોદી આગામી 11 જાન્યુઆરીથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા છે.આ મુલાકાત દરમિયાન તેઓ રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા ઉપરાંત સોમનાથ મહાદેવના દર્શને પણ જાય તેવી શક્યતા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો નડિયાદના સંતરામ મંદિરમાં હજારો મણ બોર ઊછળ્યા 200 વર્ષ જૂની પરંપરા મુજબ નડિયાદના સંતરામ મંદિરમાં હજારો મણ બોર ઊછળ્યા. માન્યતા અનુસાર સંતરામ મહારાજની બાધા રાખવાથી ન બોલતું બાળક બોલતું થાય છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સ્વિગીનું ટી-શર્ટ પહેરીને આવેલ વ્યક્તિ સોનાની ચેન ઝૂંટવી ફરાર વડોદરાના અકોટા વિસ્તારમાં સ્વિગીનું ટી-શર્ટ પહેરીને એક્ટિવા પર આવેલ વ્યક્તિ વૃદ્ધની સોનાની ચેન ઝૂંટવી ફરાર થઈ ગયો. પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
મોડાસા તાલુકાના આનંદપુરા કંપા ખાતે પોકાર પરિવાર દ્વારા શ્રી રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ પારાયણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનો પ્રારંભ રવિવાર, 4 જાન્યુઆરી, 2026ના રોજ થશે અને શનિવાર, 10 જાન્યુઆરી, 2026ના રોજ તેની પૂર્ણાહુતિ થશે. પ.પૂ. મહામંડલેશ્વર સત્પંથ રત્ન સ્વામી શ્રી જનાર્દન હરિજી મહારાજ વ્યાસપીઠ પરથી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. આ પ્રસંગે અનેક સંતો અને મહંતોની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આનંદપુરા કંપાના મગનભાઈ કરમશીભાઈ પોકારના પરિવાર દ્વારા જગતગુરુ સત્પંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વરદેવાચાર્યજી મહારાજની પ્રેરણાથી આ કથાનું આયોજન કરાયું છે. માતા-પિતાના શુભાશિષ અને ગુરુદેવની કૃપાથી સર્વજનહિત અને કલ્યાણાર્થે આ ભવ્ય કથાનું આયોજન થયું છે. કથા દરમિયાન રામાયણના વિવિધ પ્રસંગો જેવા કે રામ જન્મોત્સવ, સીતા સ્વયંવર, સીતા હરણ, ભરત મિલાપ, ભગવાન શ્રીરામ અને હનુમાનજીના મિલાપ પ્રસંગ સહિત ભગવાન શ્રીરામના રાજ્યાભિષેક પ્રસંગની ઉજવણી કરવામાં આવશે. સાત દિવસ સુધી ચાલનારી આ કથા દરમિયાન શ્રોતાઓ માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ સમસ્ત આનંદપુરા કંપાના ગ્રામજનોમાં આ કથાને લઈને આનંદનો માહોલ છે અને તેઓ સંતોના સામૈયા, પૂજન-અર્ચન તથા આશીર્વાદ મેળવવા માટે ઉત્સુક છે.
બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજ દ્વારા આવતીકાલે દિયોદર તાલુકાના ઓગડધામ (ઓગડજીની થાળી) ખાતે એક વિશાળ 'બંધારણ મહાસંમેલન'નું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે એક આધુનિક અને સર્વગ્રાહી સામાજિક બંધારણની રચના કરી અમલીકરણ કરવાનો છે. 16 મુખ્ય મુદ્દાઓ પર સામાજિક મંથનઆ મહાસંમેલનમાં સમાજ સુધારણા અને કુરિવાજો નાબૂદી જેવા 16 જેટલા વિવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવશે. છેલ્લા 15 દિવસથી આ જિલ્લાઓના 27 તાલુકાના પ્રતિનિધિઓ, સામાજિક કાર્યકરો અને ધાર્મિક નેતાઓએ સાથે મળીને આ બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો છે. ઓગડજી મહારાજની સાક્ષીમાં રજૂ થનારું આ નવું માળખું સમાજ માટે માર્ગદર્શક બનશે. દિગ્ગજ નેતાઓની હાજરીઆ ઐતિહાસિક પ્રસંગે પક્ષ-વિપક્ષના રાજકીય માંધાતાઓ એક મંચ પર જોવા મળશે. અલ્પેશ ઠાકોર: પ્રદેશ પ્રમુખ, ઠાકોર સેના અને ધારાસભ્ય (ગાંધીનગર) ગેનીબેન ઠાકોર: સાંસદ, બનાસકાંઠા કેશાજી ચૌહાણ: ધારાસભ્ય, દિયોદર (પૂર્વ મંત્રી) અમૃતજી ઠાકોર તથા લવિંગજી ઠાકોર: ધારાસભ્યો આ ઉપરાંત, જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ, વિવિધ સમૂહ લગ્ન સમિતિઓના સભ્યો અને સામાજિક સંગઠનોના હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. 50,000 લોકોના આગમન માટે વ્યાપક વ્યવસ્થાઆયોજકોના જણાવ્યા અનુસાર, આ મહાસંમેલનમાં અંદાજે 50,000 થી વધુ લોકો ભાગ લે તેવી શક્યતા છે. કાર્યક્રમના સુચારુ સંચાલન માટે વહીવટી તંત્ર અને સ્વયંસેવકો દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. પાર્કિંગ: 5,000થી વધુ વાહનો માટે પાર્કિંગની અલગ વ્યવસ્થા. ભોજન: તમામ અતિથિઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા. સમય: સવારે 10:00 થી બપોરે 02:30 વાગ્યા સુધી. આ સંમેલન ઉત્તર ગુજરાતના ઠાકોર સમુદાય માટે એક ઐતિહાસિક અને પરિવર્તનકારી ક્ષણ સાબિત થશે. સમાજના તમામ સ્તરના લોકોને આ પ્રસંગે સાક્ષી બનવા આહવાન કરવામાં આવ્યું છે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલી જાહેરાત ક્રમાંક GPRB/202526/1 અંતર્ગત પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) કેડર તથા લોકરક્ષક કેડરની શારીરિક કસોટી આગામી 21 જાન્યુઆરી, 2026થી શરૂ થવાની છે. શારીરિક કસોટી માટેના કોલલેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા અંગેની વિગત ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, તેમ ભરતી બોર્ડ દ્વારા જણાવાયું છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ નિયમિત રીતે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની અધિકૃત વેબસાઇટ પર નજર રાખે અને આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે. ઉલ્લેખનીય છે કે PSI અને લોકરક્ષક જેવી મહત્વપૂર્ણ કેડરની ભરતી માટે શારીરિક કસોટી મહત્વપૂર્ણ માપદંડ ગણાય છે. તેથી ઉમેદવારોને તમામ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા તથા શારીરિક ધોરણો અંગે પૂર્વ તૈયારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે.
બગદાણા હુમલા મામલે બોટાદ કોળી સમાજમાં રોષ:આરોપીઓને કડક સજાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર
બગદાણામાં કોળી સમાજના યુવક પર થયેલા હુમલાને પગલે બોટાદ જિલ્લા કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ સાથે આજે કોળી સમાજ દ્વારા બોટાદ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર બગદાણાના સેવક નવનીતભાઈ બાલધીયા પર તાજેતરમાં થયેલા હુમલાના વિરોધમાં આપવામાં આવ્યું છે. કોળી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે આ હુમલો અત્યંત ગંભીર છે અને આવા કૃત્યોને કોઈપણ ભોગે સહન કરવામાં આવશે નહીં. સમાજે માંગ કરી છે કે આ સમગ્ર ઘટનાની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. દોષિતોને કાયદા મુજબ કડકમાં કડક સજા ફટકારવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા બનાવોનું પુનરાવર્તન ન થાય.
ગેસ પુરાવવા જવાનું કહી રિક્ષાચાલક અને બે ઈસમો વૃદ્ધના નાણાં ચોરી ફરાર બન્યા ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના નવાગામ (બડેલી) ખાતે રહેતા 75 વર્ષીય વૃદ્ધ ખેડૂત રાણાભાઇ કેશરભાઈ પરમાર સાથે રીક્ષામાં રૂ. 22,500ની ચોરીનો બનાવ બન્યો છે ડુંગળી વેચીને પરત ફરતી વખતે રીક્ષામાં બેઠેલા અન્ય બે શખ્સો અને ડ્રાઈવરે તેમની નજર ચૂકવી પૈસા ચોરી લીધા હતા, આ અંગે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ફરિયાદી રાણાભાઇ પરમારે ગત તા. 29 ડિસેમ્બર, 2025ના રોજ સવારે 9 વાગ્યાના અરસામાં પાલિતાણા માર્કેટિંગ યાર્ડમાં ચેતક ઓનિયન નામની પેઢીએ ડુંગળીનું વેચાણ કર્યું હતું, આ વેચાણ પેટે તેમને રૂ. 39,679 રોકડા મળ્યા હતા, જે તેમણે પોતાના બનીયાનના ખિસ્સામાં રાખ્યા હતા, બપોરના સાડા બાર વાગ્યાની આસપાસ તેઓ માર્કેટિંગ યાર્ડ રોડ પરથી એક લીલા-પીળા કલરની રીક્ષામાં બેઠા હતા, રીક્ષામાં તેમની જમણી બાજુએ અન્ય બે વ્યક્તિઓ પણ બેઠા હતા, બપોરના એક વાગ્યાના સુમારે રીક્ષાચાલકે તેમને રંગોળી પાસે ઉતારીને જણાવ્યું કે, તેમને ગેસ પુરાવવા જવાનું છે અને ગેસ પુરાવીને પાછા આવશે. રાણાભાઇએ એક કલાક સુધી રીક્ષાની રાહ જોઈ, પરંતુ રીક્ષાચાલક કે અન્ય કોઈ પરત ન આવતા તેઓ બીજા વાહન દ્વારા પોતાના ઘરે ગયા હતા, ઘરે જઈને તેમણે બનીયાનના ખિસ્સામાંથી પૈસા ગણી જોતા રૂ.22,500 ઓછા નીકળ્યા હતા આથી તેમને ચોરી થઈ હોવાનો અહેસાસ થયો હતો તેમણે તાત્કાલિક પોતાના દીકરા નરેશ અને ભત્રીજા નીતિન પરમારને આ અંગે જાણ કરી હતી ત્યારબાદ ત્રણેય જણાએ બોરતળાવ પોલીસ સ્ટેશન પહોંચીને આ ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી, ફરિયાદમાં જણાવાયું છે કે, રીક્ષામાં બેઠેલા અન્ય બે શખ્સો અને ડ્રાઈવરે મેળાપીપણું કરીને તેમની નજર ચૂકવી રૂ. 500ના દરની નોટો ચોરી લીધી હતી, આ અંગે બોરતળાવ પોલીસ મથકે રાણાભાઈ એ રીક્ષા ચાલક તથા બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નવસારી જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ વાંસદા વિસ્તારમાંથી ડુપ્લિકેટ ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી કુલ 59 શંકાસ્પદ લાઈસન્સ જપ્ત કર્યા છે. આરોપી મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને નકલી લાઈસન્સ બનાવતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. SOG ઇન્ચાર્જ પી.આઈ. પી.વાય. ચિત્તેના માર્ગદર્શન હેઠળ ટીમો કાર્યરત હતી. હેડ કોન્સ્ટેબલ મયુરભાઈ રઘુભાઈને મળેલી ગુપ્ત બાતમીના આધારે, વાંસદાના મહારાજા ગેસ્ટ હાઉસ સામેથી જિગરકુમાર ભીખુભાઈ પટેલ (રહે. વેલણપુર, ચીખલી) ને અટકાવવામાં આવ્યો હતો. તેની બેગની તલાશી લેતા આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી જીગર પટેલ તેના શાઓમી મોબાઈલમાં 'પિક્સ આર્ટ' (PicsArt) એપ્લિકેશનનો ઉપયોગ કરતો હતો. તે ગ્રાહકો પાસેથી વોટ્સએપ પર ડોક્યુમેન્ટ મંગાવતો અને પોતાના અસલ લાઈસન્સના ફોટા પર ગ્રાહકની વિગતો એડિટ કરતો હતો. લર્નિંગ લાઈસન્સના નંબરને પાકા લાઈસન્સ તરીકે દર્શાવી તે અસલ જેવી જ દેખાતી નકલી કોપીઓ તૈયાર કરતો હતો. એસ.ઓ.જી. દ્વારા જપ્ત કરાયેલા 59 લાઈસન્સની નવસારી આર.ટી.ઓ.માં ખાતરી કરાતા ચોંકાવનારી વિગતો સામે આવી. 32 લાઈસન્સમાંથી 20નો કોઈ ઓનલાઇન રેકોર્ડ મળ્યો ન હતો, જ્યારે 7 લાઈસન્સ નંબર અન્ય વ્યક્તિઓના નામે ઇસ્યુ થયેલા હતા. આરોપી એરુ સ્થિત 'પરફેક્ટ ઝેરોક્ષ' ખાતેથી આ એડિટ કરેલી ફાઈલોની પી.વી.સી. પ્રિન્ટ કઢાવતો હતો અને દરેક લાઈસન્સ દીઠ ગ્રાહકો પાસેથી ₹4,000 થી ₹4,500 વસૂલતો હતો. વાંસદા પોલીસ સ્ટેશનમાં આરોપી જિગરકુમાર પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 336(3), 337, અને 340(2) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કૌભાંડમાં અન્ય કોઈ શખ્સોની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
વલસાડ જિલ્લાના ઉમરગામમાં આવેલી ભારતી એકેડમી સ્કૂલમાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી શોકમાં ફેરવાઈ ગઈ હતી. 5 કિમીની મેરેથોન દોડ પૂર્ણ કર્યા બાદ બીજા ક્રમે આવેલી 16 વર્ષીય વિદ્યાર્થિની અચાનક ગ્રાઉન્ડ પર જ ઢળી પડી હતી અને ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે પરિવારજનોએ શાળા સંચાલકોની બેદરકારી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. દોડ પૂર્ણ કરીને રોશની ગ્રાઉન્ડ પર જ ઢળી પડીમળતી માહિતી મુજબ, ઉમરગામની ભારતી એકેડમી સ્કૂલમાં અભ્યાસ કરતી રોશનિગીરી ગોસ્વામી નામની 16 વર્ષીય વિદ્યાર્થીનીએ શાળા દ્વારા આયોજિત 5 કિમી મેરેથોન દોડમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. રોશનીએ શાનદાર પ્રદર્શન કરી દોડમાં બીજો ક્રમાંક મેળવ્યો હતો. દોડ પૂર્ણ કર્યા બાદ તેણે ફિનિશ લાઇન પાસે શિક્ષકોને પોતાનું નામ પણ નોંધાવ્યું હતું, પરંતુ થોડી જ ક્ષણોમાં તે ગ્રાઉન્ડ પર બેભાન થઈને પડી ગઈ હતી. એમ્બ્યુલન્સ ન બોલાવી કારમાં દવાખાને લઈ ગયાસ્કૂલ ટીચર માધવીએ જણાવ્યું કે મેરેથોન વ્યવસ્થિત પૂર્ણ થઈ હતી અને રોશની બીજા નંબરે આવી હતી, પરંતુ ત્યારબાદ આ અઘટિત ઘટના બની હતી. સાથી વિદ્યાર્થીનીઓએ તેના હાથ-પગ ઘસીને તેને ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો. બીજી એક વિદ્યાર્થીનીએ કહ્યું કે તેને માઉથ ટુ માઉથ સીપીઆર આપ્યું હતું. ત્યારબાદ તેને તાત્કાલિક કારમાં ખાનગી હોસ્પિટલ અને ત્યાંથી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પરિવારના શાળા પર બેદરકારીના આક્ષેપવિદ્યાર્થીનીના પિતા રાકેશગિરીએ શાળા પ્રશાસન સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, શાળા પાસે એમ્બ્યુલન્સની કોઈ વ્યવસ્થા નહોતી. મારી દીકરી ગ્રાઉન્ડ પર જ દમ તોડી ચૂકી હતી અને તેઓ તેને અહીં-તહીં ફેરવતા રહ્યા. માતાએ રડતા અવાજે જણાવ્યું કે, સવારે તે રસોઈ બનાવી, ભાઈને ટિફિન આપી અને મને પગે લાગીને મેરેથોનમાં જવા નીકળી હતી. તેને કોઈ બીમારી નહોતી. મૃતક વિદ્યાર્થીનીના સંબંધી જાનવતી બહેને કહ્યું કે આ બાળકી ગ્રાઉન્ડ પર બેભાન થઈ ગઈ અને અડધી કલાક સુધી શિક્ષકોએ રાહ જોઈ કે સારું થઈ જશે, જ્યારે સિરિયસ થઈ ગઈ ત્યારે નાના દવાખાને લઈ ગયા. શાળા સંચાલકો - શિક્ષકો સામે અનેક સવાલો5 કિમી જેવી લાંબી દોડના આયોજન વખતે ગ્રાઉન્ડ પર કોઈ મેડિકલ ટીમ કે એમ્બ્યુલન્સ હાજર ન હોવાનો પરિવારનો આક્ષેપ છે. જો સમયસર CPR જેવી પ્રાથમિક સારવાર મળી હોત તો જીવ બચી શક્યો હોત. આ ઘટનાએ શાળાઓમાં યોજાતી રમતગમતની પ્રવૃત્તિઓ દરમિયાન રાખવામાં આવતી સાવચેતી અને મેડિકલ સજ્જતા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કર્યા છે. હાલમાં આ મામલે વધુ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સીપીઆર અંગે પ્રિન્સિપાલે ગોળ ગોળ જવાબ આપ્યાંશાળાના પ્રિન્સિપાલ રાકેશ શર્માએ કહ્યું કે અમે આ મેરેથોનમાં ભાગ લેતા પહેલા વિદ્યાર્થીના માતા-પિતાની સંમતિ લઈએ છીએ અને જો વિદ્યાર્થી ફીટ હોય તો જ મેરેથોનમાં ભાગ લેવા દઈએ છીએ. આ બાળકી બીજા નંબરે આવી હતી અને મેરેથોન પૂર્ણ કર્યા બાદ બેન્ચ પર બેસી હતી અને બોટલમાંથી પાણી પીધું હતું, ત્યારબાદ એને શ્વાસ ચડવા લાગ્યો હતો. અમારી સ્કૂલની મહિલા ટીમે તેના હાથ ઘસ્યા પણ કાઇ ફરક ન પાડ્યો આથી મેડમની કારમાં તેને ડૉક્ટર લોખંડેના દવાખાને લઈ ગયા હતા. ડોક્ટરે તેને સીપીઆરની જરૂર છે માટે બીજી હોસ્પિટલ લઈ જાઓ એવું કહેતા મીરા ફર્નિચરની બાજુની હોસ્પિટલે લઈ ગયા હતા. ત્યાંનાં ડોક્ટરે કહ્યું કે રેફરલ હોસ્પિટલ લઈ જાઓ. રેફરલ હોસ્પિટલમાં ડોક્ટરે આ બાળકીને મૃત જાહેર કરી. બાળકીને સીપીઆર આપ્યું હતું કે નહી તે સવાલના જવાબમાં પ્રિન્સિપાલ રાકેશ શર્માએ ગોળ ગોળ જવાબ આપ્યાં હતા. એમ્બ્યુલન્સ કેમ બોલાવવામાં ન આવી એ સવાલના જવાબમાં પ્રિન્સિપાલ રાકેશ શર્માએ કહ્યું કે શાળા સુધી એમ્બ્યુલન્સ આવી શકે એવો રસ્તો નથી, અમે આ અંગે ઉપર અનેકવાર રજૂઆતો કરી છે.
અમદાવાદ શહેરમાં અલગ અલગ સરકારી કચેરીમાં ટ્રાફિક પોલીસની ડ્રાઇવ યોજાઈ હતી.આ દરમિયાન એક જ દિવસમાં હેલ્મેટ વગર 1189 કર્મચારીઓ ઝડપાયાં હતાં. ઉપરાંત 71 પોલીસ કર્મચારી પણ હેલ્મેટ વગર ઝડપાયા હતા, જેને દંડ ફટકારવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ડાર્ક ફિલ્મ અને અને નંબર પ્લેટ વગરના વાહનો માટે પણ ડ્રાઇવ કરવામાં આવી હતી. સરકારી કચેરીઓમાં ટ્રાફિક પોલીસની ડ્રાઇવઅમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક દિવસ માટે સરકારી કચેરીઓમાં ટ્રાફિક પોલીસની ડ્રાઇવનો આદેશ આપ્યો હતો.જે બાદ શહેરની અલગ અલગ કચેરીમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમો ભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ટ્રાફિક નિયમ તોડ્યાના સરકારી કર્મચારીઓ વિરુદ્ધ 1250 કેસઆ ડ્રાઇવ દરમિયાન હેલ્મેટ વગરના,ડાર્ક ફિલ્મ લગાડેલા અને નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કુલ સરકારી કર્મચારીઓ વિરુદ્ધ 1250 કેસ કરી 5.77 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. જ્યારે 80 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કેસ કરી 38,800નો દંડ કરવામાં આવ્યો હતો. 10 વાહન ડીટેઇન કરવામાં આવ્યા આ ડ્રાઈવ દરમિયાન હેલ્મેટ વિના 1,189 જેટલા સરકારી કર્મચારી ઝડપાયા હતા જેમની પાસેથી 5.54 લાખ રૂપિયાનો દંડ લેવામાં આવ્યો હતો.ડાર્ક ફિલ્મના 15 કેસ કરી 9000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. નંબર પ્લેટ અને નંબર પ્લેટ સાથે છેડછાડ કરનાર 46 વાહન ચાલકો સામે કેસ કરી 14400 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.આ ઉપરાંત સરકારી કર્મચારીઓના 10 જેટલા વાહન પણ ડીટેઇન કરવામાં આવ્યા હતા. 71 પોલીસ કર્મચારીઓ પર કેસ, 35,500 દંડ વસૂલાયોબીજી તરફ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પણ આ ડ્રાઇવ દરમિયાન કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં હેલ્મેટ વગરના 71 પોલીસ કર્મચારીઓ પર કેસ કરી 35,500 દંડ લેવામાં આવ્યો હતો.ડાર્ક ફિલ્મ સાથે ઝડપાયેલા એક પોલીસ કર્મચારી પાસેથી 500 દંડ લેવામાં આવ્યો હતો.નંબર પ્લેટ વગર અને નંબર પ્લેટ સાથે છેડછાડ કરનાર 8 પોલીસ કર્મચારી વિરુદ્ધ કેસ કરી 2800 રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો હતો.એક પોલીસ કર્મચારીની ગાડી પણ ડિટેન કરવામાં આવી છે.
ભાવનગરમાં સગાઈ તૂટ્યા બાદ એક યુવકે તેની પૂર્વ મંગેતર પર છરી વડે હુમલો કર્યો હતો, આ ઘટનામાં યુવતીને પેટ અને હાથની આંગળીમાં ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે યુવતીની માતાએ ઘોઘા રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે,આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ફરિયાદી રેખાબેન ઉર્ફે કાળી અશોકભાઈ ગોહિલ ઉં.વ.40, રહે. ભાવનગરએ ફરિયાદ માં જણાવ્યું હતું કે, તેમની દીકરીની સગાઈ આશરે એક વર્ષ પહેલા સનેસ ગામના ગુલાબ ચુડાસમાના દીકરા કરણ સાથે થઈ હતી જોકે, પાંચ દિવસ પહેલા આ સગાઈ તોડી નાખવામાં આવી હતી. ઘટનાના દિવસે સવારે લગભગ 11 વાગ્યે કરણે રેખાબેનને ફોન કરીને તેમની દીકરી વિશે પૂછ્યું હતું. રેખાબેને જણાવ્યું કે મારી દીકરી બહાર ગઈ છે અને 12:30 વાગ્યા સુધીમાં ઘરે આવશે. ત્યારબાદ રેખાબેન હીરાના કારખાને કામ પર હતા ત્યારે તેની દીકરી તેમની પાસે આવી અને જણાવ્યું કે કરણ ઘરે આવ્યો છે. રેખાબેને દીકરીને ઘરે જવાનું કહી પોતે પણ પાછળથી ઘરે પહોંચ્યા હતા, ઘરે પહોંચતા જ દીકરીએ તેમને જણાવ્યું કે કરણે તેના ડાબા હાથની છેલ્લી આંગળી અને પેટમાં ડૂંટીની ડાબી બાજુ છરી મારી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. તે સમયે રેખાબેનના ભાભી સોનલબેન રાજેશભાઈ મકવાણા પણ ત્યાં હાજર હતા, રેખાબેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સર ટી. હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવી હતી. ડોકટરોએ સુમનના પેટમાં ઓપરેશન કર્યું હતું અને આંગળી પર ટાંકા લીધા હતા. રેખાબેને જણાવ્યું કે, સગાઈ તૂટવાની અદાવત રાખીને કરણે તેમની દીકરી પર હુમલો કર્યો છે, આ અંગે ઘોઘા રોડ પોલીસ મથકે રેખાબેન એ કરણ ચુડાસમા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વિજય હઝારે ટ્રોફી 2025-26ના પાંચમા દિવસે રાજકોટમાં રમાયેલી મેચમાં હાર્દિક પંડ્યાએ બરોડાની ટીમમાંથી રમીને ધમાકેદાર બેટિંગ કરી હતી. નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે વિદર્ભ સામેની મેચમાં બરોડાએ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 293 રન બનાવ્યા હતા, જેમાં હાર્દિક પંડ્યાએ 92 બોલમાં 11 છગ્ગા અને 8 ચોગ્ગાની મદદથી 133 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જોકે, હાર્દિકની આ શાનદાર ઈનિંગ છતાં પણ વિદર્ભની ટીમે 294 રનનો ટાર્ગેટ ચેઝ કરીને જીત મેળવી હતી. આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 16 મેચ પૂર્ણ થઈ ચુકી આજે રાજકોટમાં ચાર મેચ રમાઈ રહી છે, જેમાં અન્ય મેચોમાં બંગાળે આસામ સામે 302/7, ઉત્તરપ્રદેશે જમ્મુ-કાશ્મીર સામે 322/5 અને હૈદરાબાદે ચંદીગઢ સામે 286/9 રન બનાવ્યા છે. રાજકોટમાં 24 ડિસેમ્બર, 2025થી 8 જાન્યુઆરી, 2026 સુધીમાં 8 ટીમો વચ્ચે કુલ 28 મેચો રમાશે, જેમાંથી આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 16 મેચ પૂર્ણ થઈ ચુકી છે. બરોડાએ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 293 રન બનાવ્યા વિજય હઝારે ટ્રોફી 2025-26ના પાંચમા દિવસે રાજકોટમાં રમાયેલી મેચમાં હાર્દિક પંડ્યાએ શાનદાર સદી ફટકારીને બરોડાને મજબૂત સ્થિતિમાં મૂકી દીધી હતી. નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે વિદર્ભ સામેની મેચમાં બરોડાએ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 293 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 92 બોલમાં 11 છગ્ગા અને 8 ચોગ્ગાની મદદથી 133 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આજે રાજકોટમાં ચાર મેચ રમાઈ રહી છે. નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બરોડા-વિદર્ભ અને ઉત્તરપ્રદેશ-જમ્મુ કાશ્મીર વચ્ચેની મેચ રમાઈ રહી છે, જ્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન પેવેલિયન, સણોસરા ખાતે બંગાળ-આસામ અને ચંદીગઢ-હૈદરાબાદ વચ્ચેની મેચ યોજાઈ રહી છે. ટુર્નામેન્ટમાં 8 ટીમો વચ્ચે કુલ 28 મેચ રમાશેબંગાળ-આસામ મેચમાં આસામે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો, જેમાં બંગાળે 50 ઓવરમાં 7 વિકેટે 302 રન બનાવ્યા હતા. ઉત્તરપ્રદેશ-જમ્મુ કાશ્મીર મેચમાં જમ્મુ કાશ્મીરે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કર્યું હતું, જેમાં ઉત્તરપ્રદેશે 48 ઓવરમાં 5 વિકેટે 322 રન બનાવ્યા હતા. ચંદીગઢ-હૈદરાબાદ મેચમાં ચંદીગઢે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કર્યું હતું, જેમાં હૈદરાબાદે 50 ઓવરમાં 9 વિકેટે 286 રન બનાવ્યા હતા. વિજય હઝારે ટ્રોફી 2025-26ની આ વન-ડે ટુર્નામેન્ટ 24 ડિસેમ્બર 2025થી 8 જાન્યુઆરી, 2026 સુધી રાજકોટમાં યોજાઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં 8 ટીમો વચ્ચે કુલ 28 મેચ રમાશે, જેમાંથી અત્યાર સુધી 16 મેચ પૂર્ણ થઈ ચુકી છે. આજે રમાયેલી મેચોમાં ખેલાડીઓના શાનદાર પ્રદર્શનથી મેચો રોમાંચક બની રહી છે.
રાજ્યમાં માર્ગ અકસ્માતોથી થતા મૃત્યુ અને ઇજાઓમાં ઘટાડો લાવવા તથા જનસામાન્યમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ વિકસાવવા માટે ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ 31 જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ–2026ની ઉજવણી કરવામાં આવશે. આ મહિના દરમ્યાન વડોદરા જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિ દ્વારા માર્ગ સલામતી સાથે સંકળાયેલા તમામ વિભાગો – પોલીસ વિભાગ, આર.ટી.ઓ., માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, 108 ઇમરજન્સી સેવા, શૈક્ષણિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ તથા ખાનગી ક્ષેત્રના સહયોગથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. માર્ગ સલામતી માસ અંતર્ગત જિલ્લામાં જનજાગૃતિ માટે રેલી, વોકાથોન/મેરેથોન, શાળા તથા કોલેજ કક્ષાએ સેમિનાર, ચિત્ર, નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધાઓ, સ્ટ્રીટ પ્લે તેમજ સોશિયલ મીડિયા અને સમૂહ માધ્યમો મારફતે વ્યાપક પ્રચાર–પ્રસાર હાથ ધરવામાં આવશે. હેલ્મેટ અને સીટબેલ્ટના ઉપયોગ, મોબાઈલ ફોનના દુરુપયોગથી બચાવ, ઓવર સ્પીડિંગ, રોંગ સાઈડ ડ્રાઈવિંગ તથા અયોગ્ય પાર્કિંગ સામે કડક અમલવારી કરવામાં આવશે. જિલ્લામાં આવેલા બ્લેક સ્પોટ અને જોખમી માર્ગ સ્થળોએ રોડ માર્કિંગ, સાઈનેજ, ક્રેશ બેરિયર અને રાહદારીઓની સલામતી માટે જરૂરી એન્જિનિયરિંગ સુધારણા કરવામાં આવશે. ઉપરાંત આરોગ્ય વિભાગ તથા 108 એમ્બ્યુલન્સ સેવાના સહયોગથી પ્રાથમિક સારવાર અને સી. પી. આર. તાલીમ, મેડિકલ ચેકઅપ તેમજ રક્તદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટીમાં આજે પરીક્ષા દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી છે. યુનિવર્સિટીના ઇમર્જિંગ સાયન્સ વિભાગમાં લેવાયેલી એમએસસી એપ્લાઇડ મેથેમેટિક્સની પરીક્ષામાં વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આજે સવારે 11 વાગ્યે એમએસસી એપ્લાઇડ મેથેમેટિક્સના વિદ્યાર્થીઓનું ‘કોમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન એન્ડ આર્કિટેક્ચર’ વિષયનું પેપર યોજાયું હતું. વિષય બહારના સવાલો પૂછતા વિદ્યાર્થીઓ મૂંઝાયાપ્રશ્નપત્રમાં વિષયની બહારના સવાલો પૂછવામાં આવ્યા હતા જેને કારણે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા. વિદ્યાર્થીઓએ તરત જ પરીક્ષા દરમિયાન થયેલી ભૂલ અંગે પરીક્ષા વિભાગનું ધ્યાન દોર્યું હતું. વિદ્યાર્થીઓની રજૂઆત બાદ યુનિવર્સિટી દ્વારા પેપર રી-પ્રિન્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને લગભગ 11:30 વાગ્યા બાદ વિદ્યાર્થીઓને નવું પ્રશ્નપત્ર આપવામાં આવ્યું. AVBPએ યુનિવર્સિટીના રજીસ્ટ્રારને આવેદનપત્ર આપ્યુંપેપર મોડું મળતા વિદ્યાર્થીઓની પરીક્ષાની તૈયારી અને માનસિક સ્થિતિ પર પણ અસર પડી હોવાનું વિદ્યાર્થીઓનું કહેવું છે. આ સમગ્ર ઘટનાને લઈને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે આજે બપોરે એબીવીપી દ્વારા યુનિવર્સિટીના રજીસ્ટ્રારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરવામા આવી હતી.
રાજકોટના બહુમાળી ભવનમાં સ્થિત ખાણ ખનીજ વિભાગની ફલાઈંગ સ્કવોર્ડે છેલ્લા એક મહિનામાં સૌરાષ્ટ્રભરમાં ગેરકાયદે ખનીજ વહન કરતા 61 આસામીઓને ઝડપી પાડ્યા છે અને રૂ.1.21 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાઈવે અને ગામડાના રસ્તા ઉપર ખનીજનું ગેરકાયદે વહન કરતા 56 ડમ્પર, 2 ખનન અને 1 સંગ્રહનો કેસ કરવામાં આવ્યો છે. સ્કવોર્ડ દ્વારા પકડવામાં આવેલ વાહનની કિંમત રૂ.3 કરોડથી વધુની આંકવામાં આવી છે. જોકે ખનીજ ચોરી માટેનું એપી સેન્ટર ફરી એક વખત મોરબી હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક તંત્રની આંખમાં ધૂળ નાંખી વહન અને ખનન કરતા ખનીજ માફિયાના નેટવર્કને ભેદી ફ્લાઈંગ સ્કવોર્ડે અસ્તવ્યસ્ત કરી નાખ્યુ છે. જેમાં સાદી રેતી, બ્લેકટ્રીપ, સોફ્ટ મેટલ, બોલ ક્લો, ચાઈના કલે, બિલ્ડીંગ લાઈમ સ્ટોન, હાર્ડ મોરમ, ફાયર કલે, ચાઈના કલે, સિલીકા સહિતની વસ્તુની હેરાફેરી અને સરકારી જમીનમાંથી ગેરકાયદે ખોદાણ કરવામાં આવતુ હોવાની ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં છેલ્લા એક મહિના દરમિયાન કરવામાં આવેલી કાર્યવાહીમાં સૌથી વધુ કેસ રાજકોટ જિલ્લામાં કરવામાં આવ્યા છે. રાજકોટ શહેર આસપાસ અને ગ્રામ્ય વિસ્તારમાં 24 વાહન પકડવામાં આવ્યા છે. જ્યારે મોરબી જિલ્લામાં પણ 20 કેસ કરવામાં આવ્યા છે. જોકે સૌથી વધુ ખનીજ કરી મોરબીમા થતી હોવાનું સામે આવ્યુ છે. જિલ્લો - કેસ - રકમ (લાખમાં)મોરબી - 20- 49.09રાજકોટ - 24- 38.07 જામનગર - 05- 10.02 પોરબંદર - 01- 02.05 ભાવનગર - 03- 05.60 સુરેન્દ્રનગર - 08- 15.05 કુલ - 61 - 121.26
જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2 માં આવેલા ખલીલપુર રોડ નજીકની સોસાયટીઓના રહીશો નર્કાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. ઓમ નગર વિસ્તારમાં છેલ્લા દોઢ વર્ષથી રસ્તાઓ ખોદાયેલી હાલતમાં હોવાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. વારંવારની રજૂઆતો છતાં તંત્રના પેટનું પાણી ન હલતા, આજે આ વિસ્તારની મહિલાઓએ રણચંડી બનીને રસ્તો બંધ કરી દીધો હતો. વિરોધ એટલો ઉગ્ર હતો કે સ્થિતિ થાળે પાડવા પોલીસ કાફલાને તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવવું પડ્યું હતું. એક મહિના પહેલા આપેલું વચન ઠાલું સાબિત થયું સ્થાનિક મહિલાઓના જણાવ્યા અનુસાર, બરાબર એક મહિના અગાઉ પણ તેમણે આ જ રસ્તો રોકીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. તે સમયે કોર્પોરેટર અને મનપાના અધિકારીઓએ 'એક મહિનામાં રોડ બનાવી દઈશું' તેવું લેખિત આશ્વાસન આપી રસ્તો ખોલાવ્યો હતો. પરંતુ એક મહિનો વીતી જવા છતાં પરિણામ શૂન્ય રહેતા આજે ફરી મહિલાઓએ રસ્તાની બંને બાજુ પથ્થરો અને આડશ મૂકી અવરજવર ઠપ્પ કરી દીધી હતી. 'અમારે મનપામાં ચા-પાણી નથી પીવા, અમને અમારો રસ્તો આપો' સ્થાનિક રહીશ કુંદનબેન ઠુમરે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમે જ્યારે રજૂઆત કરવા જઈએ છીએ ત્યારે મનપાના અધિકારીઓ કહે છે કે ઓફિસે આવીને ચા-પાણી પી જાઓ. અમારે તમારા ચા-પાણી નથી પીવા, અમને અમારા રસ્તા બનાવી આપો. દિવાળી પહેલા રોડ બનવાની ખાતરી આપી હતી, દિવાળી ગઈ તેને પણ ઘણો સમય થઈ ગયો પણ રોડના ઠેકાણા નથી. જો તમે સુવિધા ન આપી શકતા હોય તો અમારો વોર્ડ બદલાવી નાખો. ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ પણ આવી શકે તેવી સ્થિતિ નથી વોર્ડ નંબર 2 ના રહીશ આશિકાબેન રાઠોડે વ્યથા ઠાલવતા કહ્યું કે, રસ્તા પર મોટા પથ્થરો પડ્યા છે. વાહનો પસાર થાય ત્યારે પથ્થરો ઉડીને રમતા બાળકોને વાગે છે. વૃદ્ધો ચાલી શકતા નથી અને બીમારીના સમયે એમ્બ્યુલન્સ અંદર આવી શકતી નથી. ચૂંટણી સમયે કોર્પોરેટરો બે હાથ જોડીને મત માંગવા આવે છે, પણ અત્યારે જ્યારે જનતા હેરાન થાય છે ત્યારે કોઈ ડોકાતું નથી. જ્યાં સુધી રોડનું કામ શરૂ નહીં થાય ત્યાં સુધી અમે રસ્તો ખોલીશું નહીં. કોર્પોરેટર આવે છે પણ ઝઘડો કરીને ચાલ્યા જાય છે રહીશોનો ગંભીર આક્ષેપ છે કે સ્થાનિક કોર્પોરેટર જ્યારે સોસાયટીની મુલાકાત લે છે, ત્યારે કોઈ ચોક્કસ જવાબ આપવાને કે ઉકેલ લાવવાને બદલે લોકો સાથે ઝઘડો કરીને ચાલ્યા જાય છે. છેલ્લા દોઢ વર્ષથી લોકો ધૂળ, પથ્થરો અને કાદવ વચ્ચે જીવી રહ્યા છે, છતાં મનપા તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. આજે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમજાવટના પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ મહિલાઓ આ વખતે કોઈ પણ 'માત્ર આશ્વાસન' સ્વીકારવા તૈયાર નહોતી. મત આપ્યા તેનું આ પરિણામ ? જનતામાં ભારોભાર રોષ સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યો છે કે શું એક વર્ષમાં આ વિસ્તારમાં કોઈ બીમાર નહીં પડ્યું હોય? તેમને હોસ્પિટલ જવામાં કેટલી મુશ્કેલી પડી હશે તેની ચિંતા શું કોઈ અધિકારી કે નેતાને નથી? ઓમ નગરના રહીશોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે હવે માત્ર વાતો નહીં પણ વાસ્તવમાં રોડ બનવો જોઈએ. જો આવનારા દિવસોમાં પણ આ સ્થિતિ યથાવત રહેશે તો આ આંદોલન મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી સુધી લઈ જવામાં આવશે.
અમદાવાદ શહેરના ધારાસભ્યો અને સાંસદસભ્યોમાં વિસ્તારના કામોને લઈ નિરસતા જોવા મળી રહી છે. પ્રજાના રોડ પાણી ગટર અને નવા વિકાસ કાર્યો અંગે દર મહિને મ્યુનિસિપલ કમિશનર અને અધિકારીઓ સાથે સંકલન બેઠક મળે છે. આજે બે મહિના બાદ AMCની સંકલન બેઠકમાં મોટાભાગના ધારાસભ્યો ગેરહાજર જોવા મળ્યાં છે. વેજલપુરના અમિત ઠાકર, નારણપુરાના જીતુ ભગત, ગાંધીનગર દક્ષિણના અલ્પેશ ઠાકોર, બાપુનગરના દિનેશસિંહ કુશવાહ, નરોડાના ડો. પાયલ કૂકરાણી અને ઠક્કરબાપાનગરના કંચનબેન રાદડિયા બેઠકમાં હાજર છે. વિપક્ષના જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને દાણીલીમડાના શૈલેષ પરમાર ગેરહાજર છે. કમિશનરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સાંસદ દિનેશ મકવાણા એચએસ પટેલ અને નરહરી અમીનમાંથી એક પણ સાંસદ પણ હાજર નથી. ગત સંકલન બેઠક રદ્દ થતા MLA ઇમરાન ખેડાવાલાએ સવાલ ઉઠાવ્યા હતા. સંકલન બેઠકમાં ધારાસભ્યો અને સાંસદો પોતાના વિસ્તારના પ્રજાના કામોને લઈને રજૂઆત કરતા હોય છે. ભાજપના ગેરહાજર રહેલા ધારાસભ્યોડો. હર્ષદ પટેલ - સાબરમતી કૌશિક જૈન- દરીયાપુરબાબુસિંહ જાદવ - વટવા અમિત શાહ - એલિસ બ્રિજ ડો. હસમુખ પટેલ - અમરાઈવાડીદર્શના વાઘેલા - અસારવાઅમુલ ભટ્ટ - મણિનગર કોંગ્રેસના ગેરહાજર રહેલા ધારાસભ્યોઇમરાન ખેડાવાલા- જમાલપુર શૈલેષ પરમાર- દાણીલીમડા ગેરહાજર રહેલા ભાજપના સાંસદઞદિનેશ મકવાણા એચ.એસ પટેલ નરહરી અમીન
સુરતના સચિન વિસ્તારમાં આવેલી ઇન્ડસ્ટ્રીયલ વસાહતમાં આજે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. સચિન ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં જ્વલનશીલ પદાર્થ ભરેલો એક વિશાળ ટાંકો ઉચકતી વખતે ક્રેઈનમાંથી એકાએક છટકી જતાં તેમાંથી કેમિકલ લીકેજ થવાની ઘટના બની હતી. આ કેમિકલ રસ્તા પર ઢોળાતા આસપાસના સમગ્ર વિસ્તારમાં તીવ્ર વાસ પ્રસરી ગઈ હતી, જેના કારણે સ્થાનિક લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. ક્રેઈનમાંથી છટકી જતાં ટાંકો નીચે પટકાયો અને લીકેજ શરૂ થયુંસચિન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, સચિન વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન આવેલો હોવાથી અહીં કેમિકલના ટાંકાઓની અવરજવર રહેતી હોય છે. આજે એક ક્રેઈન દ્વારા જ્વલનશીલ પદાર્થ ભરેલા ટાંકાને ઉચકવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે અચાનક ટાંકો ક્રેઈનમાંથી છટકી પડ્યો હતો. ટાંકો નીચે પટકાતા જ તેમાં લીકેજ શરૂ થયું હતું અને મોટી માત્રામાં જ્વલનશીલ પદાર્થ જાહેર રસ્તા પર રેલાયો હતો. રસ્તા પર કેમિકલ ઢોળાવાના કારણે વાતાવરણમાં અજીબ વાસ ફેલાઈ હતી. પોલીસ દ્વારા સમગ્ર વિસ્તાર કોર્ડન કરી તપાસ કરાઈઘટનાની જાણ થતા જ સચિન પોલીસનો કાફલો અને FSLની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો. સચિન પોલીસ ઇન્સ્પેક્ટર પી. એન. વાઘેલાએ આ અંગે વિગત આપતા જણાવ્યું હતું કે, પલસાણા હાઈવેની આસપાસના ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં કેમિકલ ઢોળાયું હોવાની માહિતી મીડિયા સૂત્રો દ્વારા મળી હતી. હકીકત તપાસતા રસ્તા પર કોઈ કેમિકલ જેવો પદાર્થ ઢોળાયેલો જોવા મળ્યો છે. બેદરકારી સામે આવતા જવાબદારો વિરૂદ્ધ કાર્યવાહી કરાશેપોલીસ દ્વારા અત્યારે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે. આ કેમિકલ કયા પ્રકારનું છે અને તે માનવ શરીર માટે કેટલું જોખમી કે હાનિકારક છે તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. પી. એન. વાઘેલાએ વધુમાં ઉમેર્યું હતું કે, જો તપાસ દરમિયાન આ કોઈ ઝેરી કેમિકલ જણાશે અથવા આમાં કોઈ પણ પ્રકારની બિનકાયદેસર પ્રવૃત્તિ કે બેદરકારી સામે આવશે, તો જવાબદારો વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને વધુ નુકસાન ન થાય તે માટેના પગલાં લેવામાં આવી રહ્યા છે.
સ્વ. નનકુબાપુ જોરુબાપુ વરુનું તા. 29/12/2025 ના રોજ દુઃખદ અવસાન થયું હતું. સ્વ. નનકુબાપુ શ્રી દાદબાપુ વરુના નાના ભાઈશ્રી તથા પાળીયાદ પૂ. શ્રી વિસામણબાપુની જગ્યાના પ્રેરક સંચાલક ભયલુબાપુના તેમજ બાબભાઈ વરુના કાકા હતા સ્વર્ગસ્થ નનકુબાપુના અવસાન નિમિત્તે તા. 02/01/2026 ના રોજ પૂ. શ્રી વિસામણબાપુની જગ્યા – પાળિયાદ મુકામે બેસણું યોજવામાં આવ્યું હતું. સ્વ. નનકુબાપુ સાથેના ઊંડા સામાજિક સંબંધો તથા ભયલુબાપુના વિશાળ લોકસંપર્કને કારણે ગુજરાતભરના વિવિધ વિસ્તારોમાંથી અનેક સંસ્થાઓના પ્રતિનિધિઓ, ધાર્મિક, રાજકીય અને સામાજિક ક્ષેત્રના વરિષ્ઠ આગેવાનો, ડોક્ટરો, વકિલો, અધિકારીઓ, સાહિત્યકારો, વિહળધામના સેવક સમુદાય તથા વિવિધ જ્ઞાતિઓના વરિષ્ઠો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેસણાં દરમિયાન તમામ ઉપસ્થિતોએ પુષ્પાંજલિ આપી શ્રદ્ધાંજલિ અર્પી હતી.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-ધનસુરા સ્ટેટ હાઈવે પર શનિવારે બપોરે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. આકોદરા ગામ નજીક પરફેક્ટ સ્કૂલની બસ અને સેન્ટ્રો કાર વચ્ચે સર્જાયેલી સામસામે ટક્કરમાં કાર ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. કારનો બૂકડો વળી જતાં વૃદ્ધ અદંર ફસાયા હતા. તેમની લાશને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડે 20 મિનિટ સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું હતું. દરમિયાન લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને વાહનો થંભી જતાં ટ્રાફિક જામ થયો હતો. સેન્ટ્રો કારનો કચ્ચરઘાણ મળતી માહિતી મુજબ, અકસ્માત એટલો જોરદાર હતો કે સેન્ટ્રો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કાર સંપૂર્ણપણે દબાઈ જવાથી ચાલક અંદર જ ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ હિંમતનગર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના કર્મચારીઓએ ભારે જહેમત બાદ અંદાજે 20 મિનિટના રેસ્ક્યૂ ઓપરેશન પછી કારના પતરાં કાપીને મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતકની ઓળખહિંમતનગર ફાયર વિભાગના અધિકારી મયંક પટેલે જણાવ્યું હતું કે, મૃતક ચાલકની ઓળખ હિંમતનગરના બળવંતપુરા ગામના 75 વર્ષીય વિઠ્ઠલભાઈ હરિભાઈ પટેલ તરીકે થઈ છે. પોલીસ કાર્યવાહીઅકસ્માત અંગે જાણ થતા જ હિંમતનગર A-ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે. હાઈવે પર સર્જાયેલા આ અકસ્માતને પગલે થોડો સમય ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.
સુરત શહેરના આંગણે ફરી એકવાર ઉત્સવનો માહોલ જોવા મળશે. આગામી 9થી 11 જાન્યુઆરીએ સુરત નજીક આવેલા સુંવાલીના દરિયાકિનારે ત્રિ-દિવસીય ‘સુવાલી બીચ ફેસ્ટિવલ-2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસન નિગમ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ ફેસ્ટિવલમાં નાગરિકોને દરિયાની લહેરો સાથે સંગીત, સ્વાદ અને સાહસનો સંગમ માણવા મળશે. તૈયારીઓને આતરી ઓપ અપાયો, કલેક્ટરની અધ્યક્ષસ્થાને બેઠકકાર્યક્રમના આયોજન માટે ધારાસભ્ય સંદિપ દેસાઈ અને જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધી દ્વારા સમીક્ષા બેઠક યોજી તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. સુવાલી બીચ ફેસ્ટિવલ-2026’ના ભવ્ય આયોજનના ભાગરૂપે ધારાસભ્ય સંદિપ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં અને જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન ધારાસભ્યએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સુંવાલી બીચને એક પ્રમુખ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે કટિબદ્ધ છે, જેથી સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઉભી થાય અને સહેલાણીઓ દરિયાકિનારાના કુદરતી સૌંદર્યનો આનંદ માણી શકે. નાગરિકોને ફેસ્ટિવલ સુધી પહોંચાડવા બસની સુવિધાસુરત શહેરથી સુવાલી બીચ દૂર હોવાથી વિવિધ વિસ્તારોમાંથી પ્રવાસીઓને ફેસ્ટિવલ સ્થળ સુધી પહોંચવા માટે વિશેષ સિટી બસ અને એસ.ટી. બસની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. શહેરના 30 સ્થળેથી નાગરિકોને સિટી બસ મળી રહેશે. સાથે જ વહીવટી તંત્ર દ્વારા સલામતી અને વ્યવસ્થાપન પર વિશેષ ભાર મૂકતા જિલ્લા કલેક્ટરે તમામ સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. લોકોની સુરક્ષા પર વિશેષ ધ્યાન અપાશેજિલ્લા કલેક્ટરે સુરક્ષા અંગે સૂચના આપતા જણાવ્યું હતુ કે, દરિયાકિનારે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ફાયર બ્રિગેડ, કુશળ તરવૈયા અને એમ્બ્યુલન્સ સાથેની મેડિકલ ટીમો તૈનાત રહેશે. આ ઉપરાંત, પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમન અને વિશાળ પાર્કિંગ એરિયાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી પર્યટકોને કોઈ અગવડ ન પડે. જાણીતા કલાકારો મચાવશે ધૂમફેસ્ટિવલના ત્રણેય દિવસ દરમિયાન સાંજે સુરતની જનતા માટે સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોકડાયરાનું આયોજન છે. સ્વાદના શોખીનો માટે 125 સ્ટોલ્સસુરત અને ખાણીપીણી એકબીજાના પર્યાય છે. ફેસ્ટિવલમાં 125 જેટલા ફૂડ સ્ટોલ્સ ઉભા કરવામાં આવશે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતની પરંપરાગત વાનગીઓ જેવી કે નાગલીની વાનગીઓ, ડાંગી ડિશ અને શિયાળાનું સ્પેશિયલ ઉંબાડિયુ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત હેન્ડીક્રાફ્ટના શોખીનો માટે ક્રાફ્ટ સ્ટોલ અને સખીમંડળો દ્વારા બનાવાયેલી ચીજવસ્તુઓનું પણ પ્રદર્શન અને વેચાણ થશે. પર્યટન અને રોજગારીનો સંગમધારાસભ્ય સંદિપ દેસાઈએ જણાવ્યું હતું કે, આ ફેસ્ટિવલ પાછળનો મુખ્ય હેતુ સુંવાલી બીચને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો છે. આનાથી માત્ર મનોરંજન જ નહીં, પરંતુ સ્થાનિક લોકો અને વેચાણ સ્ટોલધારકોને રોજગારીની મોટી તક મળશે. સ્થાનિક અર્થતંત્રને વેગ આપવા માટે વહીવટીતંત્ર કટિબદ્ધ છે. આ ફેસ્ટિવલમાં જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, નાયબ પોલીસ કમિશનર શેફાલી બરવાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ સતત દેખરેખ રાખી રહ્યા છે. સુંવાલીના ખુશનુમા વાતાવરણમાં પરિવાર અને મિત્રો સાથે વીકેન્ડ ઉજવવા માટે આ એક ઉત્તમ તક છે.
પર્વતોના પિતામહ અને ગરવા ગઢ ગિરનારની પવિત્ર ગોદમાં આવતીકાલે સાહસ, શૌર્ય અને ખેલદિલીનો ત્રિવેણી સંગમ રચાશે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત 40મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનો આવતીકાલે વહેલી સવારે શંખનાદ થશે. આ ઐતિહાસિક સ્પર્ધાને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજા ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવશે. સવારે 6:45 કલાકે ભવનાથ તળેટીથી થશે પ્રારંભ આવતીકાલે સવારે જ્યારે ગિરનારની ઠંડી હવામાં સૂર્યનું પહેલું કિરણ રેલાશે, ત્યારે ભવનાથ તળેટીના સાંસ્કૃતિક મંચ પરથી આ મહારણનો પ્રારંભ થશે. મહંત મંગલનાથજીના આશ્રમ પાસે યોજાનારા આ ઉદ્ઘાટન સમારોહમાં જૂનાગઢના મેયર, સ્થાનિક ધારાસભ્યો, કલેક્ટર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધારશે. સ્પર્ધા પૂર્ણ થયા બાદ બપોરે 1:00 કલાકે વિજેતાઓને ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. કાલે સાવારે 1115 સ્પર્ધકો વચ્ચે ખરાખરીનો જંગ જિલ્લા યુવા વિકાસ અધિકારી એન. ડી. વાળાના જણાવ્યા મુજબ, આ વર્ષે સ્પર્ધામાં ભાગ લેવા માટે સમગ્ર ગુજરાતના 30 જેટલા જિલ્લાઓમાંથી ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કુલ 1377 ફોર્મ મળ્યા હતા, જેમાંથી કડક ચકાસણી બાદ 1115 સ્પર્ધકોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જેમાં સિનિયર ભાઈઓ 513, જુનિયર ભાઈઓ 278, સિનિયર બહેનો 124 અને જુનિયર બહેનો 200 વિભાગ વાઈઝ ભાગ લેનાર છે.જાન્યુઆરી મહિનાની હાડ થીજવતી ઠંડીમાં ગિરનારના પથ્થરો પર દોડવું એ કોઈ રમત વાત નથી. આ સ્પર્ધામાં ભાઈઓ માટે અંબાજી મંદિર સુધીના 5,500 પગથિયાં ચઢવાના અને ઉતરવાના રહેશે, જ્યારે બહેનો માટે માળી પરબ સુધીના 2,200 પગથિયાં સર કરી પરત આવવાનું રહેશે. નોંધનીય છે કે ગયા વર્ષે 39મી સ્પર્ધામાં 1,200થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને કઠિન પરિસ્થિતિઓમાં પોતાનો કસબ બતાવ્યો હતો. જૂનાગઢ કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી છે. સ્પર્ધા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગિરનારના રસ્તામાં અલગ-અલગ પોઈન્ટ પર ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ તૈનાત રહેશે. સ્પર્ધકો માટે એનર્જી ડ્રિંક્સ અને શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. ભવનાથ તળેટીથી લઈને અંબાજી મંદિર સુધી ચુસ્ત પોલીસ પહેરો અને વોલેન્ટિયર્સ રાખવામાં આવ્યા છે.આ સ્પર્ધા માત્ર એક રમત નથી પણ જૂનાગઢની ઓળખ બની ગઈ છે. આ સ્પર્ધા દ્વારા રાજ્યના યુવાનોમાં સાહસવૃત્તિ જાગે અને શારીરિક ક્ષમતા વધે તેવો મુખ્ય ઉદ્દેશ્ય છે. ગિરનારના આકરા ચઢાણને પાર કરનારા ખેલાડીઓને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં પણ પ્રાધાન્ય મળે છે. ગિરનારની આ ભૌગોલિક સ્થિતિમાં ખેલાડીઓના ફેફસાં અને સ્નાયુઓની ખરી ક્ષમતા ચકાસાય છે.આજે સાંજ થી જ ગુજરાતના ખૂણેખૂણેથી સ્પર્ધકો જૂનાગઢ પહોંચવાનું શરૂ કરી દીધું છે. અનેક ખેલાડીઓ છેલ્લા છ મહિનાથી પોતાના વતનમાં ડુંગરો કે સીડીઓ ચઢીને પ્રેક્ટિસ કરી રહ્યા છે. ગિરનાર સર કરવાની તમન્ના સાથે આવેલા આ યુવાનો આવતીકાલે પરોઢિયે જય ગિરનારીના નાદ સાથે દોટ મુકશે.આ પ્રકારની સ્પર્ધાઓથી ગ્રામીણ અને શહેરી વિસ્તારના ખેલાડીઓને એક સમાન પ્લેટફોર્મ મળે છે. ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા હવે વૈશ્વિક ફલક પર પણ જાણીતી બની છે..
દર વર્ષે યોજાતા આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલની યજમાનીમાંથી આ વર્ષે વડોદરાને બાકાત રાખવામાં આવતાં પતંગ રસિકોમાં ચિંતા વ્યાપી હતી. જેથી સાંસદે ગુજરાતના પ્રવાસન વિભાગને પત્ર લખીને આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમો યોજવા માટે વડોદરા પાસે ક્ષમતા છે અને તેનાથી પર્યટન વધશે, તેવો વિશ્વાસ આપ્યો હતી. જેથી આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલની યજમાની મળે તેવી માગ કરી હતી, જેની આજે મૌખિક સરકારમાંથી મંજૂરી મળતા સાંસદે આ અંગેની જાણકારી આપી હતી. કાઇટ ફેસ્ટિલમાં વડોદરાને બાકાત રખાયું હતુંઆ અંગે સાંસદ ડો હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે, ઘણા બધા પતંગ રસિકોના માધ્યમથી મારી પાસે આ રજૂઆત આવી હતી કે, વડોદરાની અંદર વર્ષોથી યોજાતો કાઈટ ફેસ્ટિવલ કે જે સરકાર દ્વારા એમના સહયોગથી આ કાઈટ ફેસ્ટિવલ યોજાતો હોય છે. આ કાઇટ ફેસ્ટિવલની અંદર આ વખતના જેટલા પણ લોકેશન છે એમાં વડોદરાને બાકાત રાખવામાં આવ્યું છે. આ બાબતે મેં વિભાગને જાણ કરી અને એમની સાથે ટેલિફોનિક ચર્ચા કરી અને જે ઉચ્ચ અધિકારીઓ છે તેમના સહયોગથી મેં એમને કહ્યું કે વડોદરા એક એવી સંસ્કારી નગરી છે. સાથે સાથે ઉત્સવોની પણ નગરી છે અને વર્ષોથી ઇન્ટરનેશનલ કાઈટ ફ્લાયર્સ પણ નવલખી મેદાન ખાતે આવી અને પોતે કાઈટ ફ્લાયિંગ કરતા હોય છે. શહેરમાં કાઇટ ફેસ્ટિવલ ઉજવવા સરકારને પત્ર લખ્યોવધુમાં કહ્યું કે, ત્યારે વડોદરાની અંદર આ ઉત્સવ સતત ઉજવાતો રહેવો જોઈએ અને એની અંદર ફરી એકવાર વડોદરાનો ઉમેરો કરવા માટે મેં એમને રિક્વેસ્ટ કરી અને એક ઔપચારિક પત્ર પણ લખ્યો હતો. આપણા વડોદરાના બધા જ ધારાસભ્યો અને સંગઠનની ટીમ છે, તે તમામનું પણ આ બાબતે એક જ સૂચન હતું કે વડોદરાને ફરી એકવાર આ જગ્યા કાઈટ ફેસ્ટિવલ માટેની મંજૂરી મળવી જોઈએ. સાંસદના પત્ર બાદ સરકારે મૌખિક મંજૂરી આપીવધુમાં કહ્યું કે, આ બાબતે રજૂઆત બાદ એક જ દિવસમાં હમણાં જ મને એક મૌખિક સૂચના સરકાર તરફથી આવી છે કે વડોદરાની અંદર કાઈટ ફેસ્ટિવલ યોજાશે. આ માટે સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલનની શરૂઆત પણ થઈ ગઈ છે. એટલે હવે સ્થાનિક વહીવટી તંત્ર કલેક્ટર, કમિશનર સાથે સંકલન કરીને વડોદરાની અંદર પણ કાઈટ ફેસ્ટિવલ માટેની નવી તારીખ જાહેર કરવામાં આવશે અને વડોદરાના તમામ જે પતંગ રસિકો છે એમને આ કાઈટ ફ્લાયિંગ માટેની એક તક મળશે. મને સરકાર પર વિશ્વાસ હતો કે આપણી માગણીને સરકાર અવશ્ય સ્વીકારશે અને તેનો અંત આવ્યો છે.
વડોદરા મહાનગર ભાજપ દ્વારા પ્રદેશની ટીમમાં નિયુક્તિ પામેલા ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ રસિક પ્રજાપતિ અને પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પદે નિયુક્ત થયેલા વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષીનો સન્માન સમારંભ ગઈકાલે યોજાયો હતો. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ રસિક પ્રજાપતિએ કહે છે કે, મારો અનુભવ છે, જે પેપરમાં આવે તે પાર્ટીમાં ના આવે. વધુમાં તેઓ કહે છે કે, કોર્પોરેટરોને 5 વર્ષ આપ્યા છે, હવે પક્ષ જેને ટિકિટ આપે તેને જીતાડવાની તમારી જવાબદારી છે. વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ અને નવ નિયુક્ત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ રસિક પ્રજાપતિએ કાર્યક્રમ દરમિયાન પેપરમાં વારંવાર આવતા કેટલાક ભાજપ નેતાઓ પર પરોક્ષ ઈશારો કરતાં કહ્યું હતું કે, મારો અનુભવ છે, જે પેપરમાં આવે તે પાર્ટીમાં ના આવે. આ નિવેદનથી એવો સંકેત મળે છે કે, જે નેતાઓ વારંવાર મીડિયામાં ચર્ચામાં રહે છે, તેઓ પાર્ટીના વાસ્તવિક કાર્યકરો અથવા આંતરિક ગતિવિધિઓમાં સક્રિય નથી હોતા. આ ટિપ્પણીને ઘણા લોકોએ પાર્ટીના આંતરિક માળખા અને મીડિયા-સેન્ટ્રિક નેતાઓ વચ્ચેના તફાવત તરીકે જોયું છે. આ ઉપરાંત, વડોદરા મહાનગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને પણ રસિક પ્રજાપતિએ કાર્યકરોને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, કોર્પોરેટરોને 5 વર્ષ આપ્યા છે, હવે પક્ષ જેને ટિકિટ આપે તેને જીતાડવાની તમારી જવાબદારી છે. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે પાર્ટી ટિકિટ વિતરણ પછી એકજૂટતા અને ડિસિપ્લિન પર ભાર મૂકી રહી છે. જે કોર્પોરેટરને ટિકિટ મળશે, તેને જીતાડવું એ તમામ કાર્યકરોની સામૂહિક જવાબદારી રહેશે. ભલે તેમની પસંદગી કોઈની પ્રથમ પસંદગી ન હોય. આ બંને નિવેદનો વાયરલ થયા હતા અને વડોદરા ભાજપના આંતરિક સંગઠન તેમજ આગામી સ્થાનિક ચૂંટણીઓની તૈયારીઓને લઈને ચર્ચાનો વિષય બન્યા છે. રસિક પ્રજાપતિ વડોદરા જિલ્લા પ્રમુખ તરીકે સક્રિય રહ્યા છે અને પાર્ટીમાં શિસ્ત તેમજ કાર્યકરોની એકતા પર ભાર મૂકી રહ્યા છે.
જામનગરમાં શ્રમિકનું બાઇક ચોરાયું, તસ્કર CCTVમાં કેદ:લીમડા લેનમાંથી ધોળે દહાડે ચોરી, પોલીસ તપાસ શરૂ
જામનગરના લીમડા લેન વિસ્તારમાં ધોળા દિવસે એક શ્રમિક યુવાનનું મોટરસાયકલ ચોરાઈ ગયું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. લીમડા લેન વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળામાં કામ કરતા શ્રમિક યુવાને પોતાનું ટુ-વ્હીલર શેરીમાં પાર્ક કર્યું હતું. 1 જાન્યુઆરીના રોજ એક તસ્કરે ત્યાં આવીને વાહનની ચોરી કરી અને ફરાર થઈ ગયો હતો. સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે તસ્કર નાની ઉંમરનો છે. તેણે માથા પર ટોપી સાથેનું સ્વેટર અથવા જેકેટ પહેર્યું હતું અને તે પગપાળા આવ્યો હતો. તેણે કોઈક રીતે વાહન સ્ટાર્ટ કરીને તેના પર બેસીને ભાગી છૂટ્યો હતો. વાહન માલિક શ્રમિક યુવાને આ મામલે પોલીસને જાણ કરી હતી. જામનગર સીટી બી. ડિવિઝન પોલીસની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરને શોધી કાઢવા માટે તપાસ શરૂ કરી છે.
છેલ્લા 8 મહિનાથી અપહ્યત 17 વર્ષની સગીરાને વડોદરા શહેર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ(AHTU)ની ટીમે બિહારના મુજફ્ફરપુર જિલ્લામાંથી સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી છે અને અપહરણ કરનાર આરોપીની ધરપકડ કરી છે. આરોપી યુવકને હરણી પોલીસને સોંપ્યો છે જ્યારે સગીરાને તેના પરિવારને સોંપી છે. શાકભાજીની લારી અને પેડલ રિક્ષા ચલાવીને પોલીસે વોચ ગોઠવીહરણી પોલીસ સ્ટેશનમાં ગત વર્ષે નોંધાયેલા અપહરણના ગુના અંગે તપાસ હાથ ધરનાર વડોદરા શહેર AHTUની ટીમને ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સ તેમજ બાતમી આધારે માહિતી મળી હતી કે, અપહરણ થયેલી સગીરા તથા આરોપી બંને બિહારના મુજફ્ફરપુર ખાતે છે. આ માહિતીના આધારે AHTUના પીઆઈ સી.એચ. આસુંદ્રાના માર્ગદર્શન હેઠળ એક ખાસ ટીમ રચીને બિહારના મુજફ્ફરપુર મોકલવામાં આવી હતી. પોલીસ ટીમે સ્થાનિક પહેરવેશ ધારણ કરી શાકભાજીની રેકડીનો ઉપયોગ કરીને બે દિવસ સુધી સતત સર્વેલન્સ અને વોચ કરી હતી. આ દરમિયાન આરોપી અજીતકુમાર રામબાબુ મહંતો (હાલનું રહેઠાણ : રામદયાલુ, થાના-સદર, મુજફ્ફરપુર, બિહાર, મૂળ રહેઠાણ : સરૈયા, થાણા-લાલગંજ, જિલ્લો-વૈશાલી, બિહાર) નામનો શખ્સ મળી આવ્યો હતો. સગીરાનું બિહારથી સુરક્ષિત રેસ્ક્યુંઆરોપીને નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ જઈ તેની સખત પૂછપરછ કરતાં સગીરાના સ્થળની પણ ખબર પડી હતી. ત્યારબાદ ટીમે કુનેહપૂર્વક કાર્યવાહી કરીને 17 વર્ષીય સગીરાનું અપહરણ સ્થળેથી સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું. મુજફ્ફરપુરના પોલીસ સ્ટેશનમાં જરૂરી કાનૂની નોંધ કરાવ્યા બાદ આરોપી તથા રેસ્ક્યુ થયેલી સગીરાને વડોદરા લાવવામાં આવી છે. હાલ આરોપીને હરણી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે જ્યાં આગળની તપાસ ચાલુ છે. આ કામગીરીમાં વડોદરા શહેર AHTUની ટીમ દ્વારા સતત સર્વેલન્સને કારણે સગીરાને લાંબા સમયથી અપહરણમાંથી મુક્ત કરવામાં આવી છે. 'આરોપી યુવક અને સગીરાને અમે શોધીને વડોદરા લઈ આવ્યા'વડોદરા એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટના પીઆઇ સી. એચ. આસુન્દ્રાએ જણાવ્યું હતું કે, હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઠ મહિના પહેલા મૂળ બિહારનો અને વડોદરા શહેરમાં રહેતો યુવક મૂળ મધ્યપ્રદેશની અને વડોદરા શહેરમાં રહેતી 17 વર્ષની સગીરાનું અપરણ કરીને લઈ ગયો હતો. બંને વચ્ચે મુલાકાત થઈ હતી અને પ્રેમ સંબંધ બંધાયા હતા. ત્યારબાદ બંને વડોદરાથી ઉત્તર પ્રદેશ ભાગી ગયા હતા. જેને પગલે અમે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ શરૂ કરી હતી. આરોપી યુવક અને સગીરાને અમે શોધીને વડોદરા લઈ આવ્યા છીએ અને સગીરાને તેના પરિવારને સોંપી છે જ્યારે આરોપીને હરણી પોલીસને તપાસ માટે સોંપવામાં આવ્યો છે. અગાઉ પણ સગીરાને 12 વર્ષ બાદ પરત લવાઈ હતીતેઓએ ઉમેર્યું હતું કે, અગાઉ અમે છાણી પોલીસ સ્ટેશનના વર્ષ 2013ના ગુનામાં સગીરાને 12 વર્ષ બાદ અમે ગાંધીનગરથી પરત લાવ્યા હતા. જ્યારે તેનો અપહરણ થયું ત્યારે તેની ઉંમર 16 વર્ષની હતી, અમે તેને પરત લાવ્યા ત્યારે તેની ઉંમર 27 વર્ષની હતી. આ ઉપરાંત હરણી પોલીસ સ્ટેશનના એક ગુનામાં થરાદથી સગીરાને વડોદરા લાવ્યા હતા. માંજલપુર પોલીસ સ્ટેશનના એક ગુનામાં હાલોલથી સગીરાને પરત લાવ્યા હતા. 'ટીમ ગુજરાતની બહાર જાય છે ત્યારે હ્યુમન સોર્સ ખૂબ ઓછા મળતા હોય છે'તેઓએ વધુમાં કહ્યું હતું કે, જ્યારે અમારી ટીમ ગુજરાતની બહાર જાય છે ત્યારે હ્યુમન સોર્સ ખૂબ ઓછા મળતા હોય છે. ટેકનિકલ સોર્સ મળતા હોય છે, પરંતુ હ્યુમન સોસમાં ખૂબ જ તકલીફ પડતી હોય છે. આ પ્રકારના કેસોમાં હ્યુમન સોર્સ ખૂબ જ મદદરૂપ થતા હોય છે. ઘણી વખત બહારના લોકો વિશ્વાસ કરીને માહિતી આપતા હોતા નથી. આવા સમયે અમારી ટીમને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ અમારી ટીમ પડકારનો સામનો કરીને પણ સારી કામગીરી કરે છે.
બનાસકાંઠા LCBએ જુગાર રમતા પાંચ ઝડપ્યા:પાલનપુરમાંથી ₹62,870નો મુદ્દામાલ જપ્ત કરાયો
બનાસકાંઠા LCB પોલીસે પાલનપુર શહેરમાંથી જુગાર રમતા પાંચ ઈસમોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન કુલ ₹62,870નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પાલનપુર શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા હુસૈની ચોક, શાહુફલીમાં સિકંદરખાન બિસ્મીલ્લાખાન નાગોરીના રહેણાંક મકાનમાં તીન પત્તીનો જુગાર રમાઈ રહ્યો હતો. LCB ટીમે બાતમીના આધારે દરોડો પાડીને જુગારની પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી પાંચ જુગારીઓને પકડ્યા હતા. તેમની પાસેથી રોકડ ₹22,879 અને જુગારના સાહિત્ય (ગંજીપાના) સહિત કુલ ₹62,870નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન ચાર અન્ય ઈસમો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં બિપીનભાઈ મફતલાલ પ્રજાપતિ (રહે. પાલનપુર, નંદ સોસાયટી), રીઝવાન ઉર્ફ દાદા હમીદખાન નાગોરી (રહે. પાલનપુર, નાગોરી વાસ), ઈમરાન ઈસ્માઈલભાઈ સિંધી (રહે. પાલનપુર, જુના ડાયરા), અબ્બાસભાઈ ઉર્ફ ખલીફા અબ્દુલરહેમાન ખલીફા (રહે. પાલનપુર, ફોફળીયો કુવો) અને અજરુદ્દીન ઉર્ફ બાલી ઈકબાલભાઈ સલાટ (રહે. પાલનપુર, ભક્તોની લીંબડી)નો સમાવેશ થાય છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાથી જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. LCB પોલીસ ઈન્સ્પેક્ટરના નેતૃત્વ હેઠળ ટીમો બનાવી ગુનાહિત પ્રવૃત્તિઓ પર વોચ રાખવામાં આવી રહી છે. પકડાયેલા અને નાસી છૂટેલા ઈસમો વિરુદ્ધ પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
વડોદરા શહેરમાં ખોટા દસ્તાવેજોના આધારે SBIમાંથી 1.97 કરોડ રૂપિયાથી વધુ હોમ લોન મેળવી ઠગાઇ કરવાના કેસમાં સંડોવાયેલ અને ફરાર થયેલ મહિલા આરોપીની વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના પોલીસ સ્ટેશનોના ગુનાઓના કામે નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવાની શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને એડિશનલ પોલીસ કમિશનર ડૉ. લીના પાટીલની સુચના અનુસાર ક્રાઇમ બ્રાન્ચની ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સુચના આપી હતી. ન્યુ અલકાપુરી રોડ પરથી આરોપી મહિલાને ક્રાઈમ બ્રાન્ચે ઝડપીઆ દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એન.જી. જાડેજાની ટીમના PSI બી.વી.ગોહીલ અને પોલીસકર્મીઓ વડોદરા શહેરના તમામ પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાના નાસતા ફરતા આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. જેમાં ગોરવા પોલીસ મથકમાં નોંધાયેલ ઠગાઇના ગુનાની મહિલા આરોપી સંપા મિહિરભાઇ ચેટર્જી (રહે. હરીઓમનગર સોસાયટી, બીલ, વડોદરા તથા સ્ટાર રેસીડેન્સી, વાસણા-ભાયલી રોડ, વડોદરા) હાલ ન્યુ અલકાપુરી રોડ આકાશ એપાર્ટમેન્ટ ખાતે હોવાની માહિતી મળતાં ટીમે મહિલા પોલીસને સાથે રાખી ન્યુ અલકાપુરી રોડ આકાશ એપાર્ટમેન્ટ ખાતેથી ઝડપી પાડી ગોરવા પોલીસને સોંપી હતી. 16 લોકોએ મળીને હોમ લોન મેળવવા બોગસ દસ્તાવેજો ઊભા કર્યા હતાઆ પકડાયેલ આરોપી મહિલા સામે 5 ઓગસ્ટ 2025ના રોજ ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયેલી ફરિયાદની વિગત એવી છે કે, 2 ઓગસ્ટ 2021થી 17 ઓકટોમ્બર, 2022ના સમય દરમ્યાન આરોપી મહિલા સંપા મિહિરભાઇ ચેટર્જી તથા અન્ય 5 આરોપીઓએ હોમલોન મેળવવા બોગસ દસ્તાવેજો ઊભા કર્યા હતાં. ખોટી ફાઇલ તૈયાર કરી SBIના બે એસ.એસ.એલ.એજન્ટો સાથે મળીને ઇલોરાપાર્કની એસ.બી.આઇ. બેંક RACPC બ્રાન્ચમાં રજુ કરીને રૂપિયા 1.97 કરોડની લોન લઇ છેતરપિંડી કરી હતી. આ ગુનામાં સંડોવાયેલા 16 આરોપીઓ પૈકી સંપા ચેટર્જીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
પોરબંદરના યુવાનોનો દારૂ-બિયર મહેફિલનો વીડિયો વાયરલ:પોલીસે સ્પષ્ટતા કરી, દીવમાં દારૂ પીધો હતો
પોરબંદરના યુવાનો દારૂ-બિયરની મહેફિલ માણતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આવા વીડિયો સામે આવતા અનેક સવાલો ઉભા થયા છે. વાયરલ વીડિયોમાં પોરબંદરનો વિજય ડાભી નામનો યુવક દારૂ-બિયરની મહેફિલ માણતો જોવા મળે છે. વીડિયોમાં એક મોટી ટોળકી સાથે એક સ્થળે મહેફિલ ચાલતી હોવાના દૃશ્યો છે, જેને કારણે સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જાગી છે. શરૂઆતમાં આ મહેફિલ પોરબંદરમાં યોજાઈ હતી કે અન્ય કોઈ રાજ્ય કે જિલ્લામાં, તે સ્પષ્ટ નહોતું. જોકે, પોરબંદર પોલીસે આ મામલે તપાસ હાથ ધરી આરોપીની ઓળખ કરી છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી સ્પષ્ટતા મુજબ, વીડિયોમાં દેખાતો યુવક પોરબંદરનો જ હોવાનું પુષ્ટિ થઈ છે. પરંતુ, પોલીસે જણાવ્યું છે કે આ વીડિયો દીવમાં દારૂ પીધો હોવાનો છે. દીવ દારૂબંધી મુક્ત વિસ્તાર હોવાથી ત્યાં દારૂ પીવું કાયદેસર છે. અગાઉ પણ પોરબંદરમાં દેશી દારૂ ખુલ્લેઆમ મળતો હોવાના દૃશ્યો સામે આવ્યા છે. જોકે, આ વીડિયો દીવનો હોવા છતાં, આવા દૃશ્યો સામે આવતા ગુજરાતમાં દારૂબંધીના અમલ પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે. પોલીસે આ સમગ્ર મામલે કાનૂની તપાસ પૂર્ણ કરી હોવાનું જણાવ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને અઠવાડિયામાં નવા કાયમી રજીસ્ટ્રાર મળી જશે. યુનિવર્સિટીમાં આજે કુલપતિની અધ્યક્ષતામાં નવા કુલસચિવની નિમણૂક માટેના ઇન્ટરવ્યૂ ગોઠવાયા હતા. જેમાં વિવાદિત ડૉ.જાદવની સાથે ડૉ.જાડેજા, ડૉ. ધામેચાએ દોઢ કલાક પરસેવો પાડ્યો હતો. જોકે હવે અઠવાડિયામાં મળનારી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં નવા કુલસચિવના નામની જાહેરાત થશે. જેથી બે વર્ષથી ખાલી કાયમી રજીસ્ટ્રારની જગ્યા ભરાશે. નોંધનીય છે કે યુનિવર્સિટીમાં 10 વર્ષ સુધી કાયમી કુલસચિવની જગ્યા ખાલી રહી હતી. છેલ્લે વર્ષ 2023 માં કાયમી રજીસ્ટ્રાર તરીકે રૂપારેલીઆની નિમણૂક થઈ હતી પરંતુ તેમણે માત્ર ચાર મહિનામાં રાજીનામુ આપી દીધુ હતુ. મળતી વિગતો મુજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટ્રાર બનવાની રેસમાં ત્રણ વહીવટી અધિકારીઓ છે. જેમાં આ જ યુનિવર્સિટીના પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસર ધામેચા, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ડેપ્યુટી રજીસ્ટ્રાર જાદવ અને આંબેડકર યુનિવર્સિટીના કાયમી કુલસચિવ જાડેજા છે. જોકે આ ત્રણેયમાંથી જાડેજાનું પલડુ ભારે હોય તેવું લાગી રહ્યુ છે. જેઓ રાજકોટની ખાનગી કોલેજમાં લેક્ચરર રહી ચૂક્યા છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની જેમ જ તેમનો પણ વિષય ફિઝિક્સ છે. આજે કુલસચિવની નિમણૂક માટેના ઇન્ટરવ્યૂમાં કુલપતિ ડૉ. ઉત્પલ જોશી, રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ નિરંજન પટેલ, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય ડૉ. મહેશ જીવાણી, અનામત કેટેગરીના પ્રતિનિધિ તરીકે અર્થશાસ્ત્ર ભવનના હેડ ડૉ. નવીન શાહ હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને વર્ષ 2023 ના ઓગસ્ટ માસમાં 10 વર્ષ બાદ કાયમી કુલસચિવ હરીશ રૂપારેલિઆ મળ્યા હતા. જોકે મહાનગરપાલિકાના સેક્રેટરી તરીકેના તેમના અનુભવી સળંગ ગણવામાં આવતી ન હોવાથી તેમને આર્થિક નુકસાન થતું હતું જેને લીધે માત્ર ચાર મહિનામાં જ તેમને કાયમી કુલસચિવ તરીકે રાજીનામુ આપી દીધું. જેને લીધે ફરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાયમી રજીસ્ટ્રાર વિહોણી બની ગઈ. જે બાદ છેલ્લા 2 વર્ષથી યુનિવર્સિટીના વહીવટનું ગાડું ઇન્ચાર્જના ભરોસે ગબડાવાઇ રહ્યુ છે. જોકે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી રજીસ્ટ્રાર બનવા માટેના ઈન્ટરવ્યુ ગોઠવાયા હતા. જેમાં 3 ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ આપ્યા હતા. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હાલના ઇન્ચાર્જ રજીસ્ટ્રાર અને પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસર મનીષ ધામેચા રેસમાં છે. જેમની વર્ષ 2003 માં યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર તરીકે નિયુક્તિ થઈ હતી. જે બાદ વર્ષ 2007 માં પ્લાનિંગ એન્ડ ઓફિસર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. જેમના સમયગાળામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને RUSHA અને PM USHA સહિતની રૂ.500 કરોડ જેટલી ગ્રાન્ટ મળી છે. જ્યારે આ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર બનવા માટેના પ્રબળ દાવેદાર અમદાવાદની બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કાયમી કુલસચિવ અજયસિંહ જાડેજા હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. જેઓ અગાઉ રાજકોટની ક્રાઇસ્ટ કોલેજમાં ફિઝિક્સના લેક્ચરર હતા. જે બાદ જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા હતા. જે બાદ હાલ તેઓ આંબેડકર યુનિવર્સિટીમાં રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવે છે. આ સિવાયના અન્ય ઉમેદવાર દશરથ જાદવ છે. જેઓ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવે છે. જેમની વર્ષ 2017 18 માં રજીસ્ટ્રાર તરીકે નિયુક્તિ થઈ હતી. જોકે તેમની સામે ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો થતા સરકાર દ્વારા તપાસ કમિટી બનાવવામાં આવી હતી. જે પછી તેમની પાસેથી રજીસ્ટ્રાર તરીકેનું પદ છીનવાઈ ગયુ અને બાદમાં તેમને ફરી ડેપ્યુટી રજીસ્ટ્રાર બનાવવામાં આવ્યા. જેથી તેઓ આ રેસમાં પાછળ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. પસંદગી પામનાર ઉમેદવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 13 મા કાયમી રજીસ્ટ્રાર બનશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપનાથી અત્યાર સુધીના કાયમી રજીસ્ટ્રારકાયમી કુલસચિવ - ફરજનો સમયગાળોજે. એમ. મેહતા - 06/09/1966 થી 12/11/1968સ્વ.વી. એમ. દેસાઇ - 23/11/1968 થી 31/08/1986 બી. એફ. શાહ - 01/09/1986 થી 31/12/1986 આર. એ. દેસાઇ - 01/01/1987 થી 30/11/1989 જે. એમ. ઉદાણી - 01/12/1989 થી 30/06/1994 આર. ડી. આરદેશણા - 29/04/1995 થી 31/03/1996એસ. બી. પંડ્યા - 27/07/1996 થી 28/02/1997સ્વ.એલ.જે.પંડ્યા - 05/03/1997 થી 22/03/1998વી. એચ. જોશી - 14/12/2000 થી 31/10/2002એ. પી. રાણા - 24/06/2004 થી 27/07/2005જી. એમ. જાની - 03/05/2007 થી 21/06/2011હરીશ રૂપારેલિઆ - જુલાઈ,2023 થી નવેમ્બર,2023
અમદાવાદના DCB પોલીસ મથકે ત્રણ આરોપીઓ દરિયાપુરમાં રહેતા જાવેદ ખાન બલોચ, લાલ દરવાજા ખાતે રહેતા વસીમ મોહમ્મદ શેખ અને સરખેજ ખાતે રહેતી શબાનાબાનું સામે વર્ષ 2023 માં NDPS એક્ટ અંતર્ગત ગુન્હો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ ખાતે આવેલી NDPS ની વિશેષ અદાલતમાં ચાલી જતા કોર્ટે આરોપીઓને સજા અને દંડનું એલાન કર્યું છે. ત્રણેય પાસેથી અંદાજિત 7 લાખની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું હતુંSOG એ બાતમીના આધારે ડ્રગ્સનું છૂટક વેચાણ કરતા ઉપરોક્ત આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં અગાઉ પણ આવા જ પ્રકારના કેસમાં ઝડપાયેલા જાવેદ ખાન બલોચ પાસેથી 5.16 લાખની કિંમતનું 51.640 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. વસીમ શેખ પાસેથી 01 લાખની કિંમતનું 10 ગ્રામ ડ્રગ અને સબાના બાનુ પાસેથી 80 હજારની કિંમતનું 08 ગ્રામ ડ્રગ્સ એમ કુલ 6.96 લાખનું ડ્રગ્સ ઝડપાયું હતું. એક આરોપીને 10 વર્ષ, અન્ય બેને 5-5 વર્ષની કેદજજ વી.બી. રાજપૂતે સરકારી વકીલ દિલીપસિંહ.એમ.ઠાકોરની દલીલો, સાહેદો અને પુરાવાઓ ધ્યાને લઈને આરોપીઓ પૈકી જાવેદ ખાન બલોચને 10 વર્ષની સખત કેદ અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જ્યારે વસીમ શેખ અને શબાના બાનુને 5 વર્ષની સખત કેસ અને એક- એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવેલ છે.
વેનેઝુએલા પર હુમલા બાદ અમેરિકાએ માદુરો અને તેમની પત્નીને કેદ કર્યા, ટ્રમ્પની જાહેરાત
Trump Says President Maduro and Wife Captured : 2026ની શરૂઆતમાં જ લેટિન અમેરિકાના ઈતિહાસનો સૌથી મોટો સૈન્ય અને રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. અમેરિકાની સેનાએ એક બાદ એક વેનેઝુએલાના ચાર મોટા શહેરો પર હુમલા કર્યા. ગણતરીની કલાકોમાં વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો અને તેમની પત્નીને કેદ કરી દેશ બહાર લઈ ગયા. નિકોલસ માદુરો અને તેમની પત્નીને કેદ કરાયા: ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે, કે અમેરિકાએ વેનેઝુએલા પર મોટા પાયે હુમલા કર્યા છે.
આજે પોષી શાકંભરી પૂનમના દિવસે કુળદેવી શ્રી મહાકાળી માતાજીનો સાલગિરી મહોત્સવ ઉજવાયો. આ મહોત્સવ મહિધરપુરા જદાખાડી ખાતે આવેલા મહાકાળી માતાજી મંદિરે યોજાયો હતો. મંદિરમાં વહેલી સવારથી જ કેસર સ્નાનથી લઈને આરતી સુધીની તમામ વિધિવિધાન પૂર્વક પૂજા કરવામાં આવી હતી. વિવિધ સમાજના સભ્યો અને સ્થાનિક લોકો વહેલી સવારથી માતાજીના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. સાંજે કતારગામ SMC કોમ્યુનિટી હોલ ખાતે કંસારા શુભેચ્છક મંડળ દ્વારા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાપ્રસાદીનો લાભ દરેક જ્ઞાતિજનો લેશે.
વાસોજ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ:અખિલ ભારતીય કોળી સમાજના સચિવે પ્રોત્સાહિત કર્યા
ઉના તાલુકાના વાસોજ ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. અખિલ ભારતીય કોળી, કોરી સમાજ ગુજરાત રાજ્યના સચિવ લખનભાઈ કોટડીયા દ્વારા આ ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત બાલભવનથી ધોરણ 12 સુધીના દરેક વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. લખનભાઈ કોટડીયાએ વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે પ્રેરણા આપી હતી. લખનભાઈ કોટડીયા એક જાણીતા સામાજિક આગેવાન છે. તેઓ 16 જેટલી વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને સમાજ સેવાના કાર્યોમાં હંમેશા અગ્રેસર રહે છે.
ગાંધીનગરમાં પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં રાજ્યના તમામ જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO) તથા નિયામકોની મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગ્રામીણ સ્તરે અમલમાં રહેલી વિવિધ વિકાસલક્ષી યોજનાઓની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. પંચાયત, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં. જિલ્લા આયોજન ગ્રાન્ટમાંથી 125 ટકા આયોજન કરવાની સૂચનાબેઠક દરમિયાન પંચાયત મંત્રીએ ગ્રામ પંચાયતોના વિકાસ પ્રકલ્પોમાં ગતિશીલતા અને પારદર્શિતા લાવવા સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું. તેમણે જિલ્લા આયોજન ગ્રાન્ટમાંથી 125 ટકા આયોજન કરવાની સ્પષ્ટ સૂચના આપી હતી, જેથી કોઈ પ્રકલ્પ રદ થાય તો વિકલ્પરૂપે અન્ય વિકાસ કામો તાત્કાલિક શરૂ કરી શકાય. આ સાથે જિલ્લાના સરકારી મકાનો પર સ્માર્ટ મીટર તથા સોલર રૂફટોપ સ્થાપિત કરવાની પ્રાથમિકતા આપવા પણ તેમણે ભાર મૂક્યો. ‘ઈ-સરકાર’ એપ્લિકેશનના ફરજિયાત અમલીકરણ માટે આદેશગ્રામીણ વિસ્તારોમાં રોડ, પાણી પુરવઠા અને ગટર યોજનાઓની સમીક્ષા કરતા મંત્રીએ ટુકડાકીય ગટર વ્યવસ્થાની બદલે સંકલિત ગટર વ્યવસ્થા ઊભી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. વહીવટી પ્રક્રિયાઓને વધુ અસરકારક અને પારદર્શી બનાવવા માટે ‘ઈ-સરકાર’ એપ્લિકેશનના ફરજિયાત અમલીકરણ તથા પડતર ફાઈલોના ત્વરિત નિકાલ માટે સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા. જન્મ-મરણની ઓનલાઈન નોંધણીની ટેકનિકલ ખામીઓ દૂર કરવા ચર્ચામંત્રીએ સીડીપી-5 યોજના અંતર્ગત બાકી રહેલા ગ્રામ પંચાયત ભવનો અને રાજીવ ગાંધી ભવનની દરખાસ્તો વહેલી તકે પૂર્ણ કરવા સૂચના આપી. સાથે જ, જનતાને પડતી મુશ્કેલીઓ ધ્યાનમાં રાખી જન્મ-મરણની ઓનલાઈન નોંધણીમાં આવતી ટેકનિકલ ખામીઓ તાત્કાલિક દૂર કરવા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ રજૂઆતોની સમીક્ષા કરવામાં આવીબેઠકમાં જૂથ ગ્રામ પંચાયતોના વિભાજન, નવા પંચાયત ઘરનું નિર્માણ, પાણી પુરવઠા યોજનાઓ સહિત ધારાસભ્યો અને પદાધિકારીઓ તરફથી મળેલી વિવિધ રજૂઆતોની સમીક્ષા કરવામાં આવી. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલી ગ્રામ પંચાયતો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના વિસ્તારોમાં પાયાની સુવિધાઓ વધુ મજબૂત બનાવવા વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત, રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ આવાસ યોજનાઓ માટે ગામતળ તથા પ્લોટની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી. ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની ખુલ્લી જમીનો પર દબાણ ન થાય અને નાગરિકોને અફોર્ડેબલ હાઉસિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવાની દિશામાં જરૂરી પગલાં લેવા મંત્રીએ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું.
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને ધનુર્માસ પૂનમ અને શનિવાર, 3 જાન્યુઆરી, 2026ના રોજ દક્ષિણી થીમ પર વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. આ શણગાર પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી કરવામાં આવ્યો હતો. દાદાના સિંહાસન અને ગર્ભગૃહને દક્ષિણ ભારતીય મંદિરોની પરંપરા અનુસાર કલાત્મક રીતે સજાવવામાં આવ્યા હતા. હનુમાનજી દાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા ફૂલની ડિઝાઇનના આકર્ષક વાઘા પહેરાવવામાં આવ્યા હતા. તેમને રિયલ ડાયમંડનો મુગટ અને તાજા ગુલાબ તથા શેવંતીના ફૂલોનો અદભૂત શણગાર કરવામાં આવ્યો હતો. સવારે 5:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી, ત્યારબાદ સવારે 7:00 કલાકે કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીએ શણગાર આરતી કરી હતી. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને દક્ષિણી થીમ અને એમ્બ્રોઇડરી વર્ક ડિઝાઇનવાળા વાઘાનો દિવ્ય શણગાર કરાયો હતો. આ સાથે 251 કિલો ગુંદરપાક, ખજૂરપાક, અડદિયો અને મેથીના લાડુનો મિશ્ર અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ દક્ષિણી શૈલીના દર્શન કરવા માટે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. સાંજે 4:30 કલાકે પૂનમ નિમિત્તે દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર ધનુર્માસ (16 ડિસેમ્બર 2025 થી 14 જાન્યુઆરી 2026) દરમિયાન પારિવારિક શાંતિ અને વિશ્વ કલ્યાણ અર્થે શ્રી હરિ મંદિરમાં શ્રી હનુમાન ચાલીસાના પાઠ અને ૐ નમો હનુમતે ભયભંજનાય સુખમ્ કુરુ ફટ્ સ્વાહા પાઠનો જપ યજ્ઞ પ્રારંભ કરાયો છે. આ પાઠ સવારે 7 થી 12 અને સાંજે 3 થી 6:30 કલાક દરમિયાન દરરોજ કરવામાં આવે છે. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દર્શનનો લાભ લીધો હતો.
અરવલ્લી જિલ્લામાં રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા નિર્ધારિત ગુણવત્તાવાળા સી.સી.ટી.વી. કેમેરા લગાવવાની ફરજિયાત વ્યવસ્થાનો ભંગ કરનારાઓ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. મોડાસા-ધનસુરા હાઈવે પર શીકા ચોકડી પર આવેલી માં ખોડલ માતેશ્વરી હોટલમાં સી.સી.ટી.વી. કેમેરા ન લગાવવા બદલ SOG દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ, દરેક હોટલ અને જાહેર સ્થળે માન્ય અને ગુણવત્તાવાળા સી.સી.ટી.વી. કેમેરા લગાવવા ફરજિયાત છે. તેમ છતાં, માં ખોડલ માતેશ્વરી હોટલના માલિક દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળા સી.સી.ટી.વી. કેમેરા લગાવવામાં આવ્યા ન હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આ મામલે SOG અરવલ્લી પોલીસ ટીમે તપાસ હાથ ધરી હતી. જાહેરનામાના ભંગ બદલ રાજસ્થાનના હોટલ માલિક કૈલાશભાઈ રતનભાઈ જાટ સામે કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ દરમિયાન હોટલમાં રાજ્ય સરકારના નિયમો અનુસારના કેમેરા ન હોવાનું સ્પષ્ટ થયું હતું. આ ગુના બદલ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ-223 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. ગરસિયા (SOG, અરવલ્લી)ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી, જેમાં SOG અને સ્થાનિક પોલીસ ટીમના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાહેર સુરક્ષા અને કાયદા વ્યવસ્થાને લગતા નિયમોનો ભંગ કરનાર સામે ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સ દ્વારા માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે યુવાનોના માનસિક સ્વાસ્થ્યના કારણો અને તેના ઉપાયો સંદર્ભે વક્તવ્ય અપાયું હતું. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સંજય વકીલે જણાવ્યું હતું કે આજના યુવાનોમાં માનસિક આરોગ્ય સંબંધિત સમસ્યાઓ જોવા મળે છે. તેમણે વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા કારણો ગણાવ્યા, જેમાં સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ, નશાકારક ડ્રગ્સનું સેવન, નિષ્ફળતા, અપેક્ષા મુજબ સિદ્ધિ ન મળવી અને ખરાબ સંગતનો સમાવેશ થાય છે. વધુ પડતા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ પણ હાનિકારક સાબિત થાય છે. આ સમસ્યાઓથી બચવા માટે સારા પુસ્તકોનું વાંચન, મનગમતું લેખન, સારા મિત્રોની સંગત, પરિવાર સાથે મજબૂત સંબંધો, રમતગમત પ્રવૃત્તિઓમાં ભાગ લેવો અને મનગમતી સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરવી જરૂરી છે. ડૉ. વકીલે ભારપૂર્વક જણાવ્યું હતું કે તંદુરસ્ત સમાજની રચના કરવા અને 'વિકસિત ભારત: 2047' ના વિઝનને સાકાર કરવા માટે દેશનું યુવાધન શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હોવું અનિવાર્ય છે. કાર્યક્રમના અંતે, કોલેજના વિદ્યાર્થીઓએ શપથ લીધા કે તેઓ તેમના માનસિક સ્વાસ્થ્યને જોખમાવે તેવી કોઈ પ્રવૃત્તિમાં ભાગ લેશે નહીં અને સકારાત્મક જીવન જીવશે. આ કાર્યક્રમનું સંચાલન પ્રો. ચેતન મેવાડાએ કર્યું હતું, જ્યારે આભારવિધિ પ્રો. મહેશ સોનારાએ કરી હતી.
અમદાવાદ: નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ) ખાતે પપેટ શો અને નાટ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અનુસ્નાતક વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ પ્રદર્શન પહેલાં ભારતીય રંગમંચ કલાકાર અને મેન્ટોર વોલ્ટર પીટરના માર્ગદર્શન હેઠળ ૧૨ દિવસનો વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં વિદ્યાર્થીઓએ નાટ્યકલા અને પપેટ મેકિંગ વિશે જ્ઞાન મેળવ્યું હતું. અભ્યાસક્રમના ભાગરૂપે, વિદ્યાર્થીઓએ પોતે બનાવેલા વિવિધ પપેટ્સનો ઉપયોગ કરીને પંચતંત્રની વાર્તાઓ રજૂ કરી હતી. આ વાર્તાઓને આધુનિક સમયના લોકજીવનના પાસાંઓ સાથે જોડીને પ્રસ્તુત કરવામાં આવી હતી. આ ઉપરાંત, વિદ્યાર્થીઓએ હિન્દી નાટકોના પ્રારંભ કરનાર ભારતના પ્રતિષ્ઠિત નાટ્ય લેખક ભારતેંદુ હરીશ્ચંદ્રની કૃતિ ‘અંધેર નગરી’નું અભિનય પ્રસ્તુતિ કરી હતી. વિદ્યાર્થીઓએ તબલાના તાલ અને રોચક સંવાદ સાથે નાટક ભજવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન માર્ગદર્શક વોલ્ટર પીટર, ઈન્સ્ટિટ્યૂટના નિયામક ડો. શિરીષ કાશીકર, નાયબ નિયામક ઈલાબેન ગોહિલ, પ્રાધ્યાપકો કૌશલ ઉપાધ્યાય, ડો. ગરિમા ગુણાવત, રીતુ વર્મા, સ્ટાફગણ અને અન્ય વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ઉપસ્થિત સૌએ પ્રદર્શનની સરાહના કરી હતી.
પાટણ તાલુકાના કતપુર ગામે જૂની અદાવતને કારણે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ ઘટનામાં બંને પક્ષના લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બે મહિના અગાઉ થયેલા એક યુવકના મોતનું મનદુઃખ આ અથડામણનું કારણભૂત હોવાનું સામે આવ્યું છે. પાટણ તાલુકા પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રથમ પક્ષે નોંધાવેલી ફરિયાદ મુજબ, ફરિયાદી સાંજે ચેહર માતાના મંદિરેથી પરત ફરી રહ્યા હતા ત્યારે પાંચ આરોપીઓએ તેમને અપમાનજનક શબ્દો કહી ગાળાગાળી કરી હતી. ત્યારબાદ ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરિયાદી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક શખ્સે ધારીયાના ઊંધા ભાગથી માર મારતા ફરિયાદીની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું, જ્યારે અન્યએ ધોકા વડે માર માર્યો હતો. હુમલાખોરોએ જતાં-જતાં જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે પાંચ શખ્સો વિરુદ્ધ બીએનએસની કલમ 115(2), 117(2), 352, 351(3), 54 અને જીપીએ એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધ્યો છે. સામા પક્ષે નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે, ફરિયાદી પોતાના ઘર પાછળના વાડામાં પશુઓને ચારો નાખી રહ્યા હતા. તે સમયે આરોપીઓએ જૂની અદાવત રાખી તેમના ઘર પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં ફરિયાદીને માથાના લમણાના ભાગે અને જમણા પગના થાપાના ભાગે ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ એક શખ્સ લાકડી લઈને મારવા દોડ્યો હતો. આ ફરિયાદના આધારે પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ બીએનએસની કલમ 125, 54 અને જીપીએ એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતમાં નવા વર્ષની શરૂઆતથી હવામાનમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ભર શિયાળે કમોસમી માવઠું પડ્યું હતું. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસ દરમિયાન વરસાદી ઝાપટાં નોંધાયા હતાં. જોકે, હવે આ વરસાદી માહોલ બાદ રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. નલિયા 7 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. રાજકોટમાં 9.4 નોંધાયું હતું, જેના કારણે વહેલી સવારે અને મોડી રાત્રે લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. રાજ્યમાં તાપમાન ઘટતા ઠંડી વધીહવામાન વિભાગે જણાવ્યું છે કે છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં વાતાવરણ શુષ્ક રહ્યું છે, પરંતુ તાપમાન ઘટતા ઠંડીનું જોર વધ્યું છે. અમદાવાદની વાત કરીએ તો, આગામી 24 કલાક દરમિયાન આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેશે. શહેરમાં લઘુત્તમ તાપમાન અંદાજે 15 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે, જેના કારણે શહેરીજનોને ઠંડીનો સ્પષ્ટ અહેસાસ થશે. 9 જાન્યુઆરી સુધી વરસાદની કોઈ સંભાવના નહિહવામાન વિભાગની આગામી 7 દિવસની આગાહી મુજબ, આગામી એક દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ખાસ કોઈ મોટો ફેરફાર નહીં થાય. 4 જાન્યુઆરીથી શરૂ થતા ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે, જેના કારણે ઠંડીનું પ્રમાણ થોડું ઘટશે અને લોકોને રાહત મળશે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતા થોડું વધારે હોવા છતાં રાત્રિના સમયે ઠંડી યથાવત્ રહેશે. પવનની દિશામાં ફેરફાર થવાથી તાપમાનમાં આગળ પણ ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. મહત્વની વાત એ છે કે હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, આગામી 9 જાન્યુઆરી સુધી સમગ્ર રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી અને વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના છે.
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામેથી શનિવારે વહેલી સવારે શ્રી રામદેવપીર ભગવાનના રણુંજા દર્શનાર્થે 30થી વધુ યાત્રિકોના પગપાળા સંઘનું પ્રસ્થાન થયું. આ સંઘ 16 જાન્યુઆરીએ રણુંજા પહોંચીને નેજો ચડાવશે. આ પગપાળા સંઘ 20 વર્ષ પહેલા ચંદ્રુમાણા ગામના પૂર્વ સરપંચ લગધીરભાઈ દેસાઈએ શરૂ કર્યો હતો. તેમના નિધન બાદ છેલ્લા ત્રણ વર્ષથી રામજીભાઈ પટેલ અને બળદેવભાઈ માલધારીના સંચાલન હેઠળ આ યાત્રા સતત ચાલુ છે. આ યાત્રા સંઘમાં કાંતિભાઈ ત્રિભોવનદાસ પટેલ 30મા વર્ષે અને રામજીભાઈ પટેલ 16મા વર્ષે જોડાયા છે. અન્ય યાત્રિકોમાં બાબાજી મફાજી રાઠોડ, બાબુભાઈ દેસાઈ (કંડક્ટર), શિવરામભાઈ પટેલ, પિયુષભાઈ વ્યાસ, નંદુબા બાબુજી દરબાર (બીજા વર્ષે), તેમજ લગધીરભાઈની દીકરીઓ રમીલાબેન અને કાંતાબેન રામજીભાઈ પટેલનો સમાવેશ થાય છે. સંઘના પ્રસ્થાન પહેલા વહેલી સવારે ભૂરાજી રાઠોડ અને મફાજી રાઠોડના નિવાસસ્થાને નેજાની પૂજા અને આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઢોલ-નગારાના તાલે 'બાબા રામદેવપીર કી જય'ના નારા લગાવતા સંઘ સાથે ગામના મધ્યમાંથી દુધેશ્વર મહાદેવ, સિકોતર માતા અને ગૌરી માતા મંદિર સુધી ગયા હતા. ગામની તમામ જ્ઞાતિના લોકો આ પ્રયાણમાં જોડાયા હતા. સંઘ સંચાલક રામજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, યાત્રા 14 દિવસમાં પાટણ, ડીસા, ધાનેરા, સાંચોર અને માંડવા થઈને રામદેવપીર પહોંચશે. આ પ્રસંગે બેચરભાઈ દેસાઈ, ભરતભાઈ રાવલ, નીતિનભાઈ વ્યાસ અને મહાદેવભાઈ દેસાઈએ સંઘ અંગે વધુ માહિતી આપી હતી.
મોરબી મહાપાલિકાના અધિકારીઓની ચિંતન શિબિર:શહેરીજનોને વધુ સારી સુવિધાઓ આપવા પર ચર્ચા કરાઇ
મોરબી મહાપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ માટે આજે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના નવલખી રોડ પર આવેલા ત્રિમંદિર ખાતે યોજાયેલી આ શિબિરમાં શહેરીજનોને સરકારની વિવિધ યોજનાઓ દ્વારા શ્રેષ્ઠ સુવિધાઓ કેવી રીતે પૂરી પાડી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ શિબિર મોરબી મહાપાલિકાને એક વર્ષ પૂર્ણ થયાના અવસરે યોજાઈ હતી. મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષ સ્થાને આ ચિંતન શિબિર યોજાઈ હતી. શિબિરની શરૂઆત એક કલાકના યોગ સેશનથી કરવામાં આવી હતી. ત્યારબાદ મ્યુનિસિપલ ગવર્નન્સના પાંચ જુદા જુદા વિષયો પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ ચર્ચામાં ખાસ કરીને શહેરી વિસ્તારમાંથી ઉદ્ભવતી સમસ્યાઓ અને તેના સમાધાન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. મોરબીના લોકોને વધુ સારી સુવિધાઓ આપવા માટે લાંબા ગાળાનું આયોજન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મ્યુનિસિપલ ગવર્નન્સ અને મ્યુનિસિપલ ફાઇનાન્સ જેવા મુદ્દાઓ પર અધિકારીઓ દ્વારા કર્મચારીઓને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ચિંતન શિબિરનો મૂળ ઉદ્દેશ્ય આગામી સમયમાં મોરબી શહેરના લોકોને વધુ સારી અને કાર્યક્ષમ સુવિધાઓ પૂરી પાડવાનો હતો, જેના માટે કમિશનરના માર્ગદર્શન હેઠળ આ આયોજન કરવામાં આવ્યું હતું.
ભોઈ સમાજ સેવા ફાઉન્ડેશનના પ્રમુખ ડૉ. હર્ષદ મહેરાએ તેમનો જન્મદિવસ ગોધરામાં જરૂરિયાતમંદ બાળકો સાથે ઉજવ્યો હતો. તેમણે પરિવાર સાથે કમલેશ ભોઈ દ્વારા સંચાલિત નિઃશુલ્ક શિક્ષણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. કમલેશ ભોઈ છેલ્લા કેટલાક સમયથી ગોધરા અને આસપાસના ગરીબ તથા નિરાધાર બાળકોને શાળા સમય પછી પોતાના ઘરે મફત શિક્ષણ આપી રહ્યા છે. તેમણે આ સેવા માત્ર પાંચ બાળકોથી શરૂ કરી હતી, જે આજે 70 બાળકોને નિઃશુલ્ક શિક્ષણ પૂરું પાડે છે. આ ઉપરાંત, કમલેશ ભોઈ બાળકોને પોતાના ખર્ચે નાસ્તો પણ પૂરો પાડે છે. કમલેશભાઈની આ સેવાને બિરદાવવા અને તેમનો ઉત્સાહ વધારવા માટે, ડૉ. હર્ષદ મહેરાએ તેમના જન્મદિવસ નિમિત્તે 'કમા ફાઉન્ડેશન' સેન્ટરની મુલાકાત લીધી હતી. ડૉ. મહેરાએ બાળકોની વચ્ચે જન્મદિવસની ઉજવણી કરી અને યથા યોગ્ય સહકાર આપી કમલેશભાઈના સેવાકાર્યમાં સહભાગી બન્યા હતા.
ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસે પંચમહાલ જિલ્લામાં ગુનાખોરી અને ગૌવંશની ગેરકાયદે કતલ જેવી પ્રવૃત્તિઓ અટકાવવા સઘન કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ અધિક્ષકની સૂચના મુજબ, બી-ડિવિઝન પોલીસ અને ગૌરક્ષા સ્ક્વોડ દ્વારા શહેરના સંવેદનશીલ આઉટર વિસ્તારોમાં ડ્રોન કેમેરાની મદદથી સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્વેલન્સમાં ગોધરા શહેરના આઉટર ગણાતા રેલવે લાઇન વિસ્તાર, ભામૈયા ગામનો સીમાડો અને ઓછી માનવ વસ્તી તેમજ વધુ ઝાડી-ઝાખરા ધરાવતા સ્થળોને લક્ષ્ય બનાવવામાં આવ્યા હતા. આ વિસ્તારોમાં ગૌવંશ કતલ જેવી ઘટનાઓ બનવાની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને ડ્રોન વડે આકાશમાંથી સતત નિરીક્ષણ કરાયું હતું. ડ્રોનની મદદથી એવા દુર્ગમ સ્થળોનું પણ સ્કેનિંગ કરવામાં આવ્યું હતું જ્યાં પોલીસના વાહનો કે જવાનો સીધી રીતે ઝડપથી પહોંચી શકતા નથી. ટેકનોલોજીના આ ઉપયોગથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પંચમહાલ પોલીસ ગુનાખોરી મુક્ત જિલ્લો બનાવવા કટિબદ્ધ છે. આધુનિક ડ્રોન ટેકનોલોજીનો આશરો લેવાનો મુખ્ય હેતુ ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા તત્વોને ઝડપી પાડવા અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાનો છે. ખાસ કરીને પશુઓની તસ્કરી અને ગેરકાયદે કતલખાના ચલાવતા તત્વો હવે પોલીસના રડારમાં આવ્યા છે. બી-ડિવિઝન પોલીસની આ કામગીરીથી સમગ્ર પંથકમાં સુરક્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી સમયમાં પણ આ પ્રકારે ઓચિંતા ડ્રોન સર્વેલન્સ ચાલુ રાખવામાં આવશે જેથી ગુનેગારોમાં પોલીસનો ખોફ કાયમ રહે. આ કામગીરીમાં ગૌરક્ષા સ્ક્વોડના જવાનો અને પોલીસ સ્ટાફ જોડાયો હતો અને શંકાસ્પદ હિલચાલ પર ઝીણવટભરી નજર રાખવામાં આવી હતી.
લગ્નજીવનના 23 વર્ષ બાદ એક પરિણીતાએ તેના પતિ વિરુદ્ધ દહેજ અને શારીરિક-માનસિક ત્રાસ આપવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પતિ પર ૫ લાખ રૂપિયાની માંગણી કરવા, બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપવા અને પત્નીને બદનામ કરવા વોટ્સએપ પર અભદ્ર સ્ટેટસ મૂકવાનો આરોપ છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પરિણીતાના લગ્ન વર્ષ 2002 માં સામાજિક રીત-રિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ શરૂઆતમાં પાટણ અને ત્યારબાદ સુરત ખાતે દંપતી રહેતું હતું. સુરતમાં ધંધા માટે પતિએ પત્નીના પિતા પાસેથી 1 લાખ રૂપિયા લીધા હતા. આ ધંધામાં નુકસાન થતાં પતિએ વધુ પૈસાની માંગણી શરૂ કરી હતી. ત્યારબાદ તેઓ અમદાવાદ રહેવા ગયા ત્યારે પણ પતિએ કરિયાવરમાં કંઈ આપેલ નથી તેમ કહી મેણા-ટોણા મારવાનું ચાલુ રાખ્યું હતું. પતિએ 5 લાખ રૂપિયાની માંગણી કરી પરિણીતાને મારઝૂડ પણ કરી હતી. પતિના અસહ્ય ત્રાસથી કંટાળીને પરિણીતા તેના બે પુત્રો સાથે પિયર કમલીવાડા આવી ગઈ હતી. પિયર આવ્યા બાદ પણ પતિ દ્વારા ફોન પર પત્ની અને તેના ભાઈને ગાળો આપી દાગીના તેમજ પૈસાની માંગણી ચાલુ રાખવામાં આવી હતી. પતિએ પત્નીના ચારિત્ર્ય સામે શંકા કરી બાળકોનો ડીએનએ ટેસ્ટ કરાવવાની અને તેમને ઉપાડી જઈ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આટલું જ નહીં, પતિએ પત્ની અને સાળાને સમાજમાં બદનામ કરવાના ઇરાદે પોતાના મોબાઈલના વોટ્સએપ સ્ટેટસમાં અભદ્ર અને અશ્લીલ શબ્દો લખી બદનક્ષી કરી હતી. આ મામલે પરિણીતાએ બાલીસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને દહેજ પ્રતિબંધ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ગાંધીનગર શહેરમાં પાણીજન્ય રોગચાળાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને બાળકોમાં ટાઇફોઇડ અને હાઈ ગ્રેડ ફીવરના કેસોમાં મોટો ઉછાળો જોવા મળતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. મીતાબેન પરીખએ પરિસ્થિતિની ગંભીરતા જણાવતા કહ્યું છે કે, હોસ્પિટલમાં અત્યારે 104 જેટલા બાળકો સારવાર હેઠળ છે અને છેલ્લા ત્રણ દિવસમાં પોઝિટિવ કેસોના દરમાં 50 ટકા જેટલો જંગી વધારો થયો છે. દૂષિત પાણીના વિતરણને કારણે જન આરોગ્ય સામે મોટું જોખમગાંધીનગર શહેરના જુના સેક્ટરોમાં છેલ્લા કેટલાક સમયથી દૂષિત પાણીના વિતરણને કારણે જન આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે. સ્માર્ટ સિટી યોજના હેઠળ કરોડોના ખર્ચે નખાયેલી નવી પાઈપલાઈનોમાં વારંવાર પડતા ભંગાણને કારણે પીવાના પાણીમાં ગટરનું ગંદું પાણી ભળતું હોવાની ગંભીર ફરિયાદો ઉઠી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા 40 ટીમો મેદાનમાં ઉતારવામાં આવીતંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ 67 શંકાસ્પદ કેસો નોંધાયા હોવાનો ગઈકાલે દાવો કરાયો હતો. જેમાંથી 42 દર્દીઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ અને સેક્ટર-24 તથા 29ના અર્બન હેલ્થ સેન્ટર ખાતે સારવાર આપવામાં આવી રહી છે. જોકે મોડી સાંજ સુધીમાં વધુ કેસો મળી આવે તો નવાઈ નહીં. આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને આશાબહેનો સહિત 80થી વધુ સ્ટાફની 40 ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે. આરોગ્ય ટીમો દ્વારા અત્યાર સુધીમાં 38,000થી વધુની વસ્તીને આવરી લેતા 10,000 ઘરોમાં તપાસ કરવામાં આવી છે. 'છેલ્લા ત્રણ દિવસમાં પોઝિટિવ કેસોના દરમાં 50 ટકાનો વધારો'ગાંધીનગર સિવિલ તંત્ર અલગ જ ચિતાર દર્શાવી રહ્યું છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. મીતાબેન પરીખે પરિસ્થિતિની ગંભીરતા જણાવતા કહ્યું છે કે, હોસ્પિટલમાં અત્યારે 104 જેટલા બાળકો સારવાર હેઠળ છે અને છેલ્લા ત્રણ દિવસમાં પોઝિટિવ કેસોના દરમાં 50 ટકા જેટલો જંગી વધારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં 1થી 16 વર્ષની વયના બાળકો સૌથી વધુ ભોગ બની રહ્યા છે. હાલમાં 104 બાળકો F2 અને E2 વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે. દર્દીઓનો ધસારો એટલો વધ્યો છે કે, તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે 'વોર્ડ નંબર 604' નવો શરૂ કરવાની ફરજ પડી છે. બાળકોમાં હાઈ ગ્રેડ ફીવર, પેટમાં દુખાવો અને ઉલ્ટીની ફરિયાદડૉ. મીતાબેનના જણાવ્યા અનુસાર, બાળકો હાઈ ગ્રેડ ફીવર, પેટમાં દુખાવો અને ઉલ્ટીની ફરિયાદ સાથે આવી રહ્યા છે. જેમને હાલ આઈ.વી. ફ્લુઈડ્સ અને એન્ટિબાયોટિક્સ દ્વારા સ્થિર કરવામાં આવ્યા છે. રેપિડ રિસ્પોન્સ ટીમ (RRT) દ્વારા સેક્ટર-24, 28 અને આદિવાડા જેવા અસરગ્રસ્ત વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ વિસ્તારોમાંથી લેવામાં આવેલા પાણીના સેમ્પલની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે વિતરણ કરવામાં આવતું પાણી પીવાલાયક નહોતું. આ અશુદ્ધ પાણીના કારણે જ વિડાલ ટેસ્ટ અને બ્લડ કલ્ચર રિપોર્ટમાં ટાઇફોઇડના બેક્ટેરિયા જોવા મળ્યા છે. નાગરિકોને પાણી ઉકાળીને પીવા અને ખોરાકમાં સાવચેતી રાખવા ખાસ તાકીદઆંકડાકીય માહિતી મુજબ ડિસેમ્બર મહિનામાં કુલ 685 વિડાલ ટેસ્ટમાંથી 130 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. પરંતુ, છેલ્લા માત્ર ત્રણ દિવસમાં કરવામાં આવેલા ટેસ્ટના 50 ટકાથી વધુ રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. માત્ર બાળકો જ નહીં, પરંતુ પુખ્ત વયના લોકોમાં પણ રોગચાળો ફેલાયો છે. મેડિસિન વિભાગની ઓ.પી.ડી.માં 50 દર્દીઓ નોંધાયા હતા, જેમાંથી 15 ગંભીર દર્દીઓને વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા નાગરિકોને પાણી ઉકાળીને પીવા અને ખોરાકમાં સાવચેતી રાખવા ખાસ તાકીદ કરવામાં આવી છે.
રવિવાર, 4 જાન્યુઆરી, 2026ના રોજ અમદાવાદમાં રાજપૂત વ્યાપાર સંમેલન 2026 અને FMCG પ્રોડક્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, આશ્રમ રોડ ખાતે રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ ઇન્ટરનેશનલ દ્વારા યોજાશે. આ સંમેલનમાં ભારતભરના વિવિધ રાજપૂત ઉદ્યોગકારો, બિઝનેસ ડેલીગેશન, યુવા અને મહિલા ઉદ્યોગકારો, સ્ટાર્ટઅપ ઇનોવેશન ઓનર્સ અને વ્યાપાર નિષ્ણાતો ઉપસ્થિત રહેશે. તેઓ રાજપૂત વ્યાપારના વિકાસ અંગે ચર્ચા કરશે અને બિઝનેસ નેટવર્કિંગ કરશે. કાર્યક્રમનો સમય બપોરે 1:15 થી સાંજે 5:15 સુધીનો રહેશે. આયોજક રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ ઇન્ટરનેશનલ છે. વધુ માહિતી માટે વિરલ સિંહ રાઓલનો 9898592794 પર સંપર્ક કરી શકાય છે.
અમદાવાદની ફેમિલી કોર્ટ દ્વારા 8 ઓગસ્ટ, 2025ના રોજ હુકમ અંતર્ગત એક યુવાન દંપતીની અરજી નકારી દેવાતા દંપતીએ ગુજરાત હાઇકોર્ટમાં ફેમિલી કોર્ટના હુકમને પડકાર્યો હતો. ફેમિલી કોર્ટે દંપતીને છૂટાછેડાની અરજી નકારતા નોંધ્યું હતું કે, તેઓએ કૂલિંગ પિરિયડ પૂરો કર્યો નથી કે તેને માફ કરવા અરજી પણ કરી નથી. કેસની વિગતો જોતા બંનેના લગ્ન 9 ડિસેમ્બર, 2023ના રોજ થયા હતા. જ્યારે 17 જાન્યુઆરી, 2024થી તેઓ અલગ રહેવા લાગ્યા હતા. આમ લગ્નના માત્ર એક મહિનો અને એક અઠવાડિયા જેટલા સમય બાદ તેઓ અલગ રહેવા લાગ્યા હતા. પતિ ઉચ્ચ અભ્યાસ માટે UK ગયો હતો, તેને ત્યાં જ સેટલ થવું છે. જ્યારે પત્નીએ અમદાવાદમાં સેટલ થઈને કેરિયર બનાવવું છે. કુલિંગ પિરિયડ પૂરો ન થતા ફેમિલી કોર્ટે અરજી નકારી હતીઆમ દંપતીને જોડે રહેવાનું શક્ય ન લાગતા અલગ અલગ રહેવાનું નક્કી કર્યું હતું. તેઓએ કોઈપણ જાતના દબાણ વગર અમદાવાદની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી દાખલ કરી છે. પત્ની પણ પતિએ ઓફર કરેલ કાયમી ભરણપોષણની રકમ મેળવવા માટે તૈયાર છે અને ભવિષ્યમાં કોઈ દાવો કરશે નહીં. તેઓએ 1 એપ્રિલ 2025 ના રોજ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. જેનો કુલિંગ પિરિયડ 1 ઓક્ટોબરના રોજ સમાપ્ત થતો હતો. પરંતુ ફેમિલી કોર્ટે 8 ઓગસ્ટ અરજી રદ કરી નાખી હતી અને નોંધ્યું હતું કે કુલિંગ પિરિયડ રદ કરવાની કોઈ અરજી અરજદારો તરફથી મળી નથી. હાઈકોર્ટે ફેમિલી કોર્ટમાં ફરી અરજી કરવા આદેશ કર્યોગુજરાત હાઇકોર્ટે નોંધ્યું હતું કે દંપતીને લાગી રહ્યું છે કે તેમનું હવે સાથે રહેવું શક્ય નથી. તેઓ એક વર્ષથી અલગ અલગ રહે છે. તેઓએ સહમતિથી છૂટા લેવા તૈયાર છે. 06 મહિના જેટલો સમય તેઓ બંને આપી ચૂક્યા છે. બંને અત્યારે યુવાન છે અને કારકિર્દી ઉપર ફોકસ કરી રહ્યા છે.ત્યારે બે અઠવાડિયાની અંદર તેઓ ફરી ફેમિલી કોર્ટ સમક્ષ અરજી કરે અને ફેમિલી કોર્ટ કાયદા અનુસાર 06 મહિનાની અંદર તેમની અરજી ઉપર નિર્ણય આપે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો વિવાદ હવે વધુ વકર્યો છે. ગત 28 ડિસેમ્બરના રોજ બ્લડ ચઢાવવા જેવી નજીવી બાબતે ન્યૂરોસર્જન ડોક્ટર અને દર્દીના પરિચિત વચ્ચે થયેલી બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. આ ઘટનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ બાદ હવે સારવાર હેઠળ રહેલા નેપાળી યુવક વિનય થાપાનું મોત નીપજતા સમગ્ર મામલો ગરમાયો છે. નેપાળી સમાજે મેદાને આવીને ડોક્ટરોની બેદરકારી તેમજ હડતાલને કારણે યુવકનું મોત થયું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. જોકે સિવિલ તંત્રએ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. શું છે સમગ્ર મામલો?સમગ્ર ઘટનાની વિગત જોઈએ તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આમિર સમાજના એક યુવકને લોહીની તાતી જરૂરિયાત હોવાથી સોશિયલ મીડિયામાં મેસેજ વહેતો કરવામાં આવ્યો હતો. આ મેસેજ વાંચીને જયદીપ ચાવડા નામનો યુવક રક્તદાન કરવા માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. વોર્ડમાં દાખલ નેપાળી યુવક વિનય થાપાને બ્લડ ચઢાવવા માટે ડોક્ટર પાસે ચિઠ્ઠી લખાવવા બાબતે રકઝક થઈ હતી. આરોપી જયદીપ ચાવડાના જણાવ્યા અનુસાર, નેપાળી પરિવાર ડોક્ટર પાસે આજીજી કરી રહ્યો હતો, પરંતુ ન્યૂરોસર્જન ડૉ. પાર્થ પંડ્યા ચિઠ્ઠી લખી આપવા તૈયાર નહોતા. જ્યારે જયદીપે દરમિયાનગીરી કરી ત્યારે ડોક્ટરે તેની સાથે ગાળાગાળી કરી પેન વડે હુમલો કર્યો હતો, જેના વળતા પ્રહારમાં તેણે ડોક્ટરને લાફા ઝીંકી દીધા હતા. આ ઘટનાના CCTV ફૂટેજ વાઇરલ થતા તબીબોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને તેઓ હડતાલ પર ઉતરી ગયા હતા. નેપાળી સમાજના ગંભીર આક્ષેપોયુવક વિનય થાપાના મોત બાદ નેપાળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ સમાજના ઉપપ્રમુખ સંજયરાજ કારકીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં તબીબોની બેદરકારીને કારણે જ વિનયનું મોત થયું છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, જ્યારે લોહીની જરૂર હતી, ત્યારે ડોક્ટરોએ સહકાર આપવાને બદલે વિવાદ કર્યો અને ત્યારબાદ હડતાલ પર ઉતરી જતાં વિનયને પૂરતી સારવાર મળી નથી. રાત્રિના સમયે યોગ્ય દેખરેખના અભાવે યુવકે જીવ ગુમાવ્યો હોવાનું પરિવારનું કહેવું છે. સમાજની માગ છે કે, આ સમગ્ર મામલે તટસ્થ તપાસ થવી જોઈએ અને જવાબદાર ડોક્ટરો સામે પોલીસ કાર્યવાહી થવી જોઈએ. સિવિલ હોસ્પિટલ તંત્રનો બચાવબીજીતરફ આક્ષેપો બાદ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ RMO ડો. એમ. એસ. રોયે હોસ્પિટલનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, દર્દીની સારવારમાં કોઈ પણ પ્રકારની કમી રાખવામાં આવી નહોતી. તબીબોની હડતાલ હોવા છતાં ઇમરજન્સી સેવાઓ ચાલુ હતી અને વિનય થાપાની સારવાર જે રીતે ચાલતી હતી તે પ્રોટોકોલ મુજબ સતત ચાલુ રાખવામાં આવી હતી. સિવિલ તંત્રએ બેદરકારીના આરોપોને ફગાવતા સ્પષ્ટ કર્યું છે કે, યુવકનું મોત તેની ગંભીર બીમારીને કારણે થયું છે. જોકે, સમગ્ર મામલાની ગંભીરતાને જોતા સિવિલ અધિક્ષક દ્વારા એક તપાસ કમિટીની રચના કરવામાં આવી છે, જે મૃત્યુના ચોક્કસ કારણો અને સારવારની પ્રક્રિયાની તપાસ કરશે. પોલીસ કાર્યવાહી અને તપાસનો દોરપ્રદ્યુમનનગર પોલીસ દ્વારા આરોપી જયદીપ ચાવડાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સમક્ષની કબૂલાતમાં આરોપીએ જણાવ્યું છે કે, તેણે આવેશમાં આવીને હુમલો કર્યો હતો. કારણ કે ત્યાંના ડોક્ટર દર્દીના પરિવાર સાથે અમાનવીય વર્તન કરી રહ્યા હતા. અત્યારે પોલીસ CCTV ફૂટેજ અને બંને પક્ષોના નિવેદનોના આધારે આગળની કાર્યવાહી કરી રહી છે. હવે જોવાનું એ રહે છે કે, સિવિલ હોસ્પિટલની તપાસ સમિતિના રિપોર્ટમાં શું તથ્યો બહાર આવે છે. શું ખરેખર હડતાલને કારણે સારવારમાં વિલંબ થયો હતો કે કેમ? તે તપાસનો મુખ્ય વિષય છે. હાલ તો આ ઘટનાએ સિવિલ હોસ્પિટલની વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા છે.
સુરતની શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયમાં સપ્ટેમ્બર 2025માં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા - 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં ધોરણ 8ના 25 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, અને તમામ વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયા હતા. આ પરીક્ષા દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય, શાંતિકુંજ હરિદ્વાર દ્વારા આયોજિત કરવામાં આવી હતી. ઉત્તીર્ણ થયેલા દરેક વિદ્યાર્થીને ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. પરીક્ષામાં પ્રથમ સ્થાને પ્રજાપતિ દેવાંગ ઉમેશભાઈ, દ્વિતીય સ્થાને પરમાર પાર્થ ભગવતસિંહ અને તૃતીય સ્થાને કાકડિયા યક્ષ મનોજકુમારે સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સમગ્ર પરીક્ષાનું સંચાલન શાળાના આચાર્ય અને સુપરવાઇઝરના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત શિક્ષક પંડ્યા શૈલેષસરે કર્યું હતું.
અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી શ્રી ગણેશ વિદ્યાલયમાં નવા વર્ષ 2026ના પ્રથમ દિવસે એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. નર્સરીથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને તેમના વાલીઓ દ્વારા સંસ્કારસભર અને મૂલ્યઆધારિત શિક્ષણ આપવામાં આવ્યું. શાળાના આચાર્યા નિતમબેને શિક્ષકો સાથે ચર્ચા કરીને આ નવીન પ્રયોગનો વિચાર રજૂ કર્યો હતો. તેમનો હેતુ નવા વર્ષના પ્રથમ દિવસે વાલીઓ શાળામાં આવીને બાળકોને અભ્યાસ કરાવે તેવો હતો. શાળાના તમામ કર્મચારીઓએ આ પ્રસ્તાવને સ્વીકાર્યો અને વાલીઓના સહયોગ તથા મેનેજિંગ ટ્રસ્ટી અલ્કેશ પટેલના માર્ગદર્શન હેઠળ 'વાલી શિક્ષક દિવસ' સફળતાપૂર્વક સંપન્ન થયો. આ કાર્યક્રમમાં વાલીઓ અને શિક્ષકોની સંયુક્ત મહેનતથી બાળકોએ શિક્ષણકાર્યમાં આનંદ અનુભવ્યો. કુલ 76 વાલીઓએ વર્ગખંડમાં શિક્ષણ આપ્યું હતું. આ અનુભવ દરમિયાન વાલીઓએ શિક્ષકોને કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. 'વાલી શિક્ષક દિવસ'નું આયોજન વાલીઓ બાળકોમાં શિસ્ત, સંસ્કાર, સમયપાલન, સ્વચ્છતા અને સકારાત્મક વિચારધારા જેવા ગુણો વિકસાવી શકે તે હેતુથી કરાયું હતું. આ ઉપરાંત, શાળાના શિક્ષકો સાથે સંકલન સાધીને બાળકોના અભ્યાસ ઉપરાંત તેમના નૈતિક, સામાજિક અને માનસિક વિકાસ પર પણ વિશેષ ધ્યાન આપી શકાય તેવો આશય હતો.
પેથાપુરના સ્વપ્નવિલા -3 સ્થિત શ્રી પાર્શ્વનાથ દિગંબર જૈન ચૈત્યાલય ખાતે નવા વર્ષ નિમિત્તે ભક્તામર સ્તોત્ર વિધાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમ ગુરુવારે, 1 જાન્યુઆરી, 2026 ના રોજ યોજાયો હતો. ભક્તામર સ્તોત્ર જૈન ધર્મનો એક મહત્વપૂર્ણ સ્તોત્ર છે, જેમાં પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથની સ્તુતિ કરવામાં આવે છે. આ સ્તોત્ર મનની શાંતિ, સકારાત્મકતા અને આધ્યાત્મિક શક્તિ પ્રદાન કરનારું મનાય છે. તે નકારાત્મક ઊર્જા અને દુષ્ટ શક્તિઓથી રક્ષણ આપે છે તેવી માન્યતા છે. પેથાપુર દિગંબર જૈન સમાજ દ્વારા આયોજિત આ વિધાનમાં ભક્તામર સ્તોત્રની 48 કડીઓ અનુસાર 48 દીપક ભગવાન સમક્ષ ભક્તો દ્વારા પ્રગટાવવામાં આવ્યા હતા. આ વિધિ દ્વારા ભક્તોએ નવા વર્ષની શરૂઆત પ્રભુ ભક્તિથી કરી હતી. આ ભક્તામર વિધાનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાથે મળીને ભક્તિમય વાતાવરણમાં નવા વર્ષનો પ્રારંભ કર્યો હતો.

26 C