વલસાડ ST ડેપો સામે રિક્ષાચાલક પર જીવલેણ હુમલો:જૂની અદાવતમાં ટ્રાફિક જામનો લાભ લઈ છરી ઝીંકી
વલસાડમાં જૂની અદાવતમાં રિક્ષાચાલક પર જીવલેણ હુમલો થયો છે. વલસાડ એસ.ટી. ડેપો સામે ટ્રાફિક જામનો લાભ ઉઠાવી આરોપીએ રિક્ષાચાલકને છરીના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા રિક્ષાચાલક હાલ વલસાડ સિવિલ હોસ્પિટલના ICU વોર્ડમાં સારવાર હેઠળ છે. મળતી માહિતી મુજબ, વલસાડના ધોબીતળાવ વિસ્તારમાં રહેતા શહીદખાન નઝીરખાન પઠાણ ગત સાંજે પોતાની રિક્ષા લઈને એસ.ટી. ડેપો પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન એસ.ટી. ડેપો સામે મોબાઈલ વર્લ્ડ નામની દુકાન પાસે ટ્રાફિક જામ થતા રિક્ષા ધીમી પડી હતી. ત્યારે જ અજય બાંકેલાલ પ્રજાપતિ (રહે. વૈશાલી પાર્ક, પારડી સાંઢપોર) રિક્ષામાં પાછળથી ચઢી ગયો હતો. આરોપી અજયે શહીદખાનનું ગળું પકડી 'તને આજે પતાવી દેવો છે' તેમ કહી પોતાની પાસે રહેલી છરી શહીદખાનના ડાબા પડખામાં ઝીંકી દીધી હતી. ભોગ બનનારના જણાવ્યા અનુસાર, ગત સપ્ટેમ્બર 2025માં આરોપી અજય સાથે બોલાચાલી અને મારામારી થઈ હતી. જોકે, તે સમયે મામલો થાળે પડી ગયો હતો અને સમાધાન પણ થઈ ગયું હતું. તેમ છતાં આરોપીએ મનમાં ખાર રાખીને આ હુમલો કર્યો હતો. હુમલો કરીને આરોપી ફરાર થઈ ગયો હતો. ઘટનાસ્થળેથી પસાર થઈ રહેલા રિક્ષાચાલકના પરિચિત અશફાક શેખે લોહીલુહાણ હાલતમાં શહીદખાનને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા. વલસાડ સીટી પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ 118(1), 352 અને 351(3) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના નાગરિકો સાથે છેતરપિંડી કરવામાં સામેલ મોટા પાયે ગેરકાયદેસર કોલ સેન્ટરોની તપાસનો રેલો અમદાવાદ સુધી પહોંચ્યો છે. હૈદરાબાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અમદાવાદમાં છ સ્થળોએ તપાસ કરી છે. આ તપાસમાં અકીબ ઘાંચીના કબજામાંથી આશરે 12,000 યુએસ ડોલર જેટલી ક્રિપ્ટોકરન્સી અને 13.5 લાખ રૂપિયાની બિનહિસાબી રોકડ પણ મળી આવી હતી. આરોપીઓ અને તેમની સંસ્થાઓના 31 બેંક ખાતા અને એક બેંક લોકર ફ્રીઝ કરવામાં આવ્યા છે. 4 ફેબ્રુઆરીએ 6 સ્થળેથી ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયા હતાહૈદરાબાદ ઝોનલ ઓફિસના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ 4 ફેબ્રુઆરી, 2026ના રોજ અમદાવાદના છ પરિસરમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002ની જોગવાઈઓ હેઠળ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં વિદેશી નાગરિકો, મુખ્યત્વે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના નાગરિકો સાથે છેતરપિંડી કરવામાં સામેલ મોટા પાયે ગેરકાયદેસર કોલ સેન્ટર કામગીરીની તપાસનો સમાવેશ થાય છે. EDએ સાયબરાબાદ પોલીસ તેમજ CBI, IOD, નવી દિલ્હી દ્વારા સંગઠિત સાયબર છેતરપિંડી અને નકલ સંબંધિત નોંધાયેલી FIRના આધારે PMLA તપાસ શરૂ કરી હતી. તમામ કોલ સેન્ટરો એક જ જૂથ દ્વારા કાર્યરત EDની તપાસમાં બહાર આવ્યું છે કે, ગેરકાયદેસર કોલ સેન્ટર ઘણા આરોપીઓ જેમ કે, મોહમ્મદ અંસારી ઉર્ફે મોહમ્મદ ઇરફાન અંસારી, અકીબ ગુલામરસુલ ઘાંચી, વિકાસ કે. નિમાર, દિવ્યાંગ રાવલ, પ્રદીપ વી. રાઠોડ અને તેમના સહયોગીઓ દ્વારા સ્થાપિત અને સંચાલિત કરવામાં આવ્યા હતા. વિવિધ સ્થળોએથી કાર્યરત કોલ સેન્ટરો એક જ જૂથ દ્વારા સામાન્ય તકનીકી માળખા, પ્રશિક્ષિત માનવશક્તિ, કોલ સ્ક્રિપ્ટ્સ અને કેન્દ્રિયકૃત મની-હેન્ડલિંગ મિકેનિઝમનો ઉપયોગ કરીને નિયંત્રિત કરવામાં આવતા હતા. USના અધિકારીઓની ખોટી ઓળખ આપી લોકોને ડરાવ્યાં હતાંતપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, કોલ સેન્ટર ઓપરેટરોએ યુ.એસ. સરકારી એજન્સીઓના અધિકારીઓ અથવા ખાનગી કંપનીઓના પ્રતિનિધિઓનો ઢોંગ કર્યો હતો અને લોન બાકી રકમ, કર જવાબદારીઓ અથવા કાનૂની કાર્યવાહી ન કરવાના ખોટા આરોપો લગાવીને પીડિતોને ડરાવ્યા હતા. જેના કારણે તેમને ગિફ્ટ કાર્ડ ખરીદવા અથવા ડિજિટલ ચુકવણી કરવા દબાણ કરવામાં આવ્યું હતું. આ રીતે જનરેટ થયેલી ગુનાની રકમ મુખ્યત્વે એમેઝોન ગિફ્ટ કાર્ડ દ્વારા પ્રાપ્ત થતી હતી અને ત્યારબાદ તેને રિડીમ કરીને ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરવામાં આવતી હતી. ફ્રોડમાં વિદેશી નાગરિકોની પણ સંડોવણીબિટકોઇન સહિત, પેક્સફુલ અને અન્ય ગેરકાયદેસર ચેનલો જેવા ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા, ક્રિપ્ટોકરન્સીના રૂપાંતર અને લિક્વિડેશનને સરળ બનાવવામાં વિદેશી નાગરિકોની સંડોવણી સાથે ગુનાની રકમનો એક નાનો ભાગ ભારતીય બેંકિંગ ચેનલોમાંથી પસાર થતો હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે મોટાભાગની રકમ રોકડ અને ક્રિપ્ટોકરન્સી દ્વારા હેન્ડલ કરવામાં આવતી હતી. હવાલા ઓપરેટરો અને સ્થાનિક કાળા બજારો સહિત અનૌપચારિક ચેનલો દ્વારા રોકડ કરવામાં આવતી હતી. અકીબ ઘાંચીને ત્યાંથી 12,000 યુએસ ડોલર જેટલી ક્રિપ્ટોકરન્સી મળીતપાસ દરમિયાન, મુખ્ય આરોપીઓમાંથી એક, અકીબ ઘાંચીના કબજામાંથી આશરે 12,000 યુએસ ડોલર જેટલી ક્રિપ્ટોકરન્સી મળી આવી હતી, જે જપ્ત કરવામાં આવી છે અને EDના ક્રિપ્ટો વોલેટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. વધુમાં, 13.5 લાખ રૂપિયાની બિનહિસાબી રોકડ પણ મળી આવતા જપ્ત કરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન મહત્વપૂર્ણ ડેટા ધરાવતા ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આરોપીઓના 31 બેંક ખાતા અને એક બેંક લોકર ફ્રીઝ વધુમાં, આરોપીઓ અને તેમની સંસ્થાઓના 31 બેંક ખાતા અને એક બેંક લોકર ફ્રીઝ કરવામાં આવ્યા હતા. શોધખોળ કામગીરીમાં એ પણ બહાર આવ્યું છે કે, આરોપીઓ ઘણા સમયથી આવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે અને ગુનામાંથી મળેલા ભંડોળનો ઉપયોગ કરીને પોતાના નામે તેમજ તેમના પરિવારના સભ્યો અને પ્રોક્સીઓના નામે નોંધપાત્ર સંપત્તિ એકઠી કરી છે. એ પણ બહાર આવ્યું છે કે, કાર્ટેલ હજુ પણ સમાન મોડસ ઓપરેન્ડી અપનાવીને સમાન છેતરપિંડીની પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે સામેલ છે, જેની વધુ તપાસ ચાલુ છે.
1200 કરોડના કૌભાંડમાં ઢીલી તપાસ સામે રોકાણકારોનું આંદોલન
ગુજરાતમાંથી દંપતી સહિત ત્રણ આરોપી પકડાયા હતા માસિક ચાર ટકા વળતરની લાલચે ૧૧ હજાર લોકોને ભરમાવ્યાઃ ૧૫૦૦ પોલીસ કર્મચારીના પૈસા પણ ફસાયા મુંબઈ - થાણેમાં ૧૨૦૦ કરોડ રૃપિયાના રોકાણ કૌભાંડના સેંકડો પીડિતોએ પોલીસ કમિશનરની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.આ કેસની ઝડપી તપાસ અને છેતરપિંડીના ભોગ બનેલા પૈસા પરત કરવાની માંગ કરી હતી. આથક ગુના શાખાએ ગયા મહિને મહારાષ્ટ્રભરમાંથી ૧,૫૦૦ પોલીસ કર્મચારીઓ સહિત ૧૧ હજારથી વધુ રોકાણકારો સાથે થયેલા કૌભાંડના સંબંધમાં ગુજરાતમાંથી દંપતી સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.
મોરબી જિલ્લાના નાની વાવડી ખાતે આવેલી વેદાંત ગ્લોબલ સ્કૂલ ખાતે આજે કલા અને સંસ્કૃતિનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી ઉમટી પડેલા બાળ કલાકારોએ પોતાની પ્રતિભાના કામણ પાથર્યા હતા..બાલ પ્રતિભા શોધ સ્પર્ધામાં પ્રદેશ કક્ષાએથી પ્રથમ અને દ્વિતીય ક્રમે વિજેતા થયેલા અંદાજે 1 હજાર જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં કુલ 13 જેટલી વિવિધ કલાઓનો સમાવેશ કરાયોવામાં આવ્યો હતો, જેમાં મુખ્યત્વે લોકનૃત્ય અને લોકવાર્તા,દુહા, છંદ અને ચોપાઈ, ચિત્રકલા અને નિબંધ લેખન, એકપાત્રીય અભિનય , સર્જનાત્મક કારીગરી સહિતની કૃતિઓ રજૂ થઈ હતી.
ધોરાજી તાલુકાના સુપેડી ગામે સેવા અને સંવેદનાનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. સુપેડી સેવા મંડળ સંચાલિત ‘રાધે કૃષ્ણા ગૌશાળા’ દ્વારા તાલુકા પ્રાથમિક શાળા ખાતે ભવ્ય નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સુપેડી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના આશરે ૩૫૦ થી ૪૦૦ દર્દીઓ આવ્યા હતા અને નિષ્ણાત તબીબોના માર્ગદર્શન હેઠળ આરોગ્ય તપાસ કરાવી હતી. આ કેમ્પમાં રાજકોટ તેમજ ઉપલેટાના મળી કુલ ૧૧ ડોક્ટરોએ પોતાની સેવાઓ અર્પણ કરી હતી. જેમાં હૃદયરોગ, હાડકા, સ્ત્રી રોગ, બાળ રોગ અને કેન્સર જેવા ગંભીર રોગોના નિષ્ણાતો સામેલ હતા. ડો. અભિષેક ઠક્કર અને ડો. જયરાજ મહેતાએ દર્દનું સચોટ નિદાન કર્યું હતું. તપાસની સાથે જ દર્દીઓને જરૂરી દવાઓ, ઈ.સી.જી. અને ડાયાબિટીસ રિપોર્ટ પણ મફત કરી આપવામાં આવ્યા હતા. ગૌશાળાના મંત્રીએ ગૌરવ સાથે જણાવ્યું હતું કે, સંસ્થા હાલ ૨૦૦ જેટલી નિરાધાર ગાયોનો નિભાવ કરી રહી છે અને ગૌસેવાની સાથે માનવ સેવા પણ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે.
યુવતીએ કર્યો આપઘાત:મોરબીની યુવતીએ વેવિશાળ તૂટી જવાના ડરથી ઝેરી દવા ગટગટાવી
મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલી હરિઓમ સોસાયટીના એક પરિવારની દીકરી તથા દીકરાની ચિત્રોડી ગામે રહેતા પરિવારના દીકરા અને દીકરી સાથે સામસામી સગાઈ કરાઇ હતી. પરંતુ અચાનક જ સગાઈ તોડવાનો વાત ઉડતી ઉડતી સામે આવી હતી. અને આ યુવતીએ સગાઈ તૂટી જવાના ડરથી ચિત્રોડી ગામ પાસે આવેલ તેઓની વાડીની ઓરડીમાં ઝેરી દવા પીને જીવનલીલા સંકેલી લીધી હતી. મૂળ હળવદ તાલુકાના ચિત્રોડી ગામના રહેવાસી અને હાલમાં મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ હરિ ઓમ સોસાયટીમાં રહેતા ધીરુભાઈ રાઠોડની દીકરી કિંજલબેન રાઠોડ (ઉ.વ.21)એ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે યુવતીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન આ યુવતીનું મોત નીપજ્યું હતું. આ બનાવની મૃતક યુવતીના પિતા ધીરુભાઈ રાઠોડ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મૃતક કિંજલબેન તથા તેના ભાઈ કરણની સગાઈ હળવદના કોઈબા ગામે રહેતા દિલુભાઈ ચૌહાણના દિકરા અને દીકરી સાથે સામસામી કરવામાં આવી હતી. યુવતીને ભરથાર પસંદ હતો અને તેની સાથે લગ્ન કરવા હતા જેમણે દવા પીને મોત માગી લીધું એ યુવતીને જેની સાથે સગાઈ થઈ હોય તે યુવાન પસંદ આવી ગયો હોય અને એની સાથે સુખી લગ્નજીવન માણવાના સ્વપ્ન સેવ્યા હોવાથી સગાઈ તોડવા રાજી ન હોવાથી એટલા હતાશ થઈ ગઇ હતી કે, આ ભાવિ જીવનસાથી વગર જીવન જીવવું મુશ્કેલ લાગતા તેણીએ અંતિમ પગલું ભરી લીધું હતું.જેના પગલે કિંજલનો પરિવાર હતપ્રભ બની ગયો હતો.
નવી બસોની સીટ પાછળ ક્ષોભજનક લખાણ:કોઈએ અટક તો કોઈએ છોકરીનું ચિત્ર દોરી નામ લખ્યું
સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકોટ એસટી નિગમ દ્વારા મુસાફરોની સુવિધા માટે નવી નક્કોર બસો દોડતી કરવામાં આવી છે. થોડા સમય પહેલા જ સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, ચોટીલા અને લીંબડી ડેપોમાં નવી બસો ફાળવવામાં આવી હતી. પરંતુ આ નવી બસો હવે અસામાજિક તત્વો અને શિસ્ત વગરના મુસાફરોનો ભોગ બની રહી છે. બસની સીટોની પાછળ પેન, બ્લેક બોર્ડમાં લખવાના ચોક અને ધારદાર વસ્તુઓ વડે ચિત્ર-વિચિત્ર ચિત્રામણ કરવામાં આવતા અન્ય મુસાફરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર ડેપોમાંથી 60થી વધુ બસો તેમજ ચારેય ડેપોમાંથી 120થી વધુ બસો દોડાવીને સંચાલન કરવામાં આવે છે. જેમાં નવી બસોનો પણ સમાવેશ થાય છે. ત્યારે નવી બસોમાં ચિત્રામણોની રાવ ઉઠી છે. જેમાં પોતાની અટક, છોકરીઓના નામ સહિતના ચિત્રો દોરવામાં આવે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવા વર્ગ દ્વારા પેન અને ચોકનો ઉપયોગ કરીને બસની કિંમતી રેક્ઝિન સીટોને ખરાબ કરવામાં આવી રહી છે. આ અંગે રોષ સાથે મગનભાઈ પરમાર, સાગરભાઇ મકવાણા વગેરે મુસાફરોએ જણાવ્યું હતું કે, પરિવાર સાથે મુસાફરી કરતા હોઈએ ત્યારે આવી સીટો પર બેસવું પણ શરમજનક લાગે છે. બસ એ જાહેર મિલકત છે, તેની જાળવણી કરવાની જવાબદારી આપણી છે. પરંતુ કેટલાક લોકો આવી પ્રવૃતિઓ કરીને સીટ કે તેના પાછળના ભાગને બગાડી નાખે છે. પેનની સ્યાહી, ચોકના ડાઘા જલ્દી જતા નથીએસટી તંત્ર દ્વારા બસોની સફાઈ કરવામાં આવે છે. પરંતુ શાહી અને ચોકના ડાઘા જલ્દી નીકળતા નથી. જેના કારણે નવી બસો પણ જૂની અને ભંગાર જેવી દેખાવા લાગે છે. મુસાફરોની માંગ છે કે બસમાં ચિત્રામણ કરનારા તત્વો સામે કડક દંડની કાર્યવાહી કરવામાં આવે. તેમજ બસ કંડક્ટર દ્વારા પણ આ બાબતે સતર્કતા રાખવામાં આવે. જો આ પ્રવૃતિ નહીં અટકે તો આવનાર સમયમાં બસો માત્ર ચિત્રપોથી બને તેવો ઘાટ સર્જાશે.
હાઈવે પર થતા અકસ્માતોને અટકાવવા અને લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા માટે એક વિશેષ પ્રોજેક્ટ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેમાં કુલ 3 જિલ્લાની 12 પ્રાથમિક શાળાએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં નાવિયાણી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પોતાની આગવી સૂઝબૂઝથી તૈયાર કરેલા પ્રોજેક્ટ દ્વારા સૌના દિલ જીતી લીધા હતા. આ પ્રોજેક્ટની ખાસિયત એ છે કે આ પ્રોજેક્ટમાં સેન્સર અને કેમેરા આધારિત છે જે હાઇવે પર જ્યાં અકસ્માતની શક્યતા વધુ હોય ત્યાં જેવા કે ચાર રસ્તા, સ્કૂલ હોસ્પિટલ હોય ત્યાં લગાવાય વાહન કેવી રીતે ચલાવવું અને સ્પીડ બ્રેકર્સ શા માટે બનાવવામાં આવે છે. 4 રસ્તે સિગ્નલ લાઈટ શું સૂચવે છે. તેમજ હાઈવે ઉપર બાઈક ચલાવતી વખતે હેલ્મેટ પહેરીને અને ગાડી ચલાવતા સમયે સીટ બેલ્ટ પહેરીને જ ચલાવી વગેરે વિશે લોકોને જાણકારી આપે છે. મારુતિ સુઝુકી કંપની દ્વારા પ્રાથમિક શાળામાં માર્ગ સલામતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત હાઈવે પર થતા અકસ્માતો નિવારવા માટેના મોડેલ અને પ્રોજેક્ટ પ્રદર્શનની સ્પર્ધાનુ આયોજન કરાયું હતું. જેમાં અમદાવાદ, મહેસાણા, સુરેન્દ્રનગરની 12 શાળાએ પોતાના પ્રોજેક્ટ બનાવી હાઈવે ઉપર થતાં અકાસ્મતથી કેવી રીતે બચી શકાય તે વિશે સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં નાવિયાણી પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સરસ રીતે માહિતી આપી આ સ્પર્ધામાં શાળા દ્વીતીય સ્થાન પર આવી તે બદલ બાળકોને સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં તાલુકા મામલતદાર તથા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પરમાર તેમજ કંપનીના સીએસઆર કલ્પેશભાઇ તથા શિક્ષક સ્ટાફ ગણ સાથે સાથે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં માર્ગદર્શક તરીકે શાળાના આચાર્ય તથા શિક્ષક પૂનમબેન તેમજ એસ.ડી. મલેક જોડાયા હતા. સપ્તાહની મહેનત બાદ પ્રોજેક્ટ તૈયાર થયો પ્રોજેક્ટ અમો તથા શાળાના શિક્ષક પૂનમબેન તેમજ માર્ગદર્શન હેઠળ મુખ્ય ધોરણ 6ના 2 બાળક ઠાકોર ધર્મેશ અને પરમાર ધાર્મિક અને સહાયક તરીકે ધોરણ 8ના ઠાકોર યુવરાજ અને ઠાકોર હાર્દિક જોડાયા હતા. જેમાં ઇન્ટરનેટની મદદથી સર્ચ કરી અકસ્માત નિવારણ પ્રોજેકટ્ આઇડીયા મેળવ્યો અને આ પ્રોજેક્ટ એક સપ્તાહની મહેનતથી બનાવાયો હતો. - એસ.ડી. મલેક, શિક્ષક
સમૂહ લગ્નોત્સવ યોજાયો:સુરેન્દ્રનગર સમસ્ત ભરવાડ સમાજના સમુહ લગ્નોત્સવમાં 81 યુગલના પ્રભુતામાં પગલા
સુરેન્દ્રનગર સમસ્ત ભરવાડ સમાજનો સમુહલગ્નોત્સવ યોજાયો હતો.જેમાં 81થી વધુ નવદંપત્તિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.આ પ્રસંગે સમાજના હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા. હાલ દેખાદેખીના યુગમાં લોકો લગ્નોમાં બીનજરૂરી ખર્ચ કરતા હોય છે.ત્યારે વિવિધ સમાજો દ્વારા સમુહ લગ્નોત્સવ યોજી આવા બીનજરૂરી ખર્ચ અટકાવી સમાજના લોકોને એક છત્ર નીચે લાવવાનુ કાર્ય કરાય છે. ત્યારે સમસ્ત ભરવાડ સમાજનો સમુહ લગ્નોત્સવ તાજેતરમાં યોજાયો હતો.જેમાં વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ ફરી એકવાર પોતાની પ્રજાવત્સલ છબીને સાર્થક કરી છે. સુરેન્દ્રનગર ખાતે આયોજિત સમસ્ત ભરવાડ સમાજ ના 81 દીકરીઓના સમૂહ લગ્નમાં ધારાસભ્યએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. આ પ્રસંગે તેમણે જોરાવરનગરમાં રહેતા ભરવાડ પરિવારના જગદીશભાઈ રાતડીયાની સુપુત્રી ચિ. રૂહીને કન્યાદાન કરી એક સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જ્યારે તાજેતરમાં જ તેમના દીકરાના લગ્ન યોજાયેલ જેમાં લગ્નની ઉજવણી પહેલા જ વઢવાણ જીવન સ્મૃતિ સ્કૂલના દિવ્યાંગ બાળકો, વૃદ્ધાશ્રમ અને પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજમાં રહેતી દિવ્યાંગ દીકરીઓને ભોજન કરાવ્યુ હતુ.આ રીતે તેમણે સારી કામગીરી કરી હતી.
SIRની કામગીરી:98 ટકા કામગીરી પૂર્ણ, 13.18 લાખ અરજીની સુનાવણી થઇ
સુરેન્દ્રનગર જિલ્લાની 5 વિધાનસભા વિસ્તામાં મતદાર યાદીમાં એસઆઇઆર પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં નવી મતદાર યાદી જાહેર કરાયા બાદ વાંધા અરજીઓ મંગાવાઇ હતી. વાંધા અરજીનો છેલ્લો દિવસ 18 જાન્યુઆરી હતો. 22 દિવસમાં 13,18,818 અરજી સુનાવણી થઇ હવે આજે છેલ્લો દિવસ 26,127 બાકી અરજી નિકાલ કરાશે. સુરેન્દ્રનગર જિલ્લાની દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા વિધાનસભાની મતદાર યાદીનું વિશેષ મેપિંગ કરાયું હતું. જેમાં ઇલેક્શન કમિશનર દ્વારા બે મહિના બુથ લેવ ઓફિસરને ડોર ટુ ડોર મોકલી ખરાઇ કરાવી હતી. જેમાં 13,44,945 મતદારોના રેકોર્ડમાં આધાર, ઉંમર, સરનામું અથવા 2002ની જૂની મતદાર યાદી સાથે મેળ ન બેસતા લોજીકલ ડિસ્ક્રિબંસી સામે આવી હતી. આ તમામ મતદારોને નોટિસ આપી મતદાર નોંધણી અધિકારી સમક્ષ સુનાવણી માટે બોલાવવામાં આવ્યા હતા. સુનાવણી બાદ અત્યાર સુધીમાં મતદારો પૂરતા પુરાવા રજૂ ન કરી શકતા ચૂંટણી તંત્ર દ્વારા તેમના નામ મતદાર યાદીમાંથી કમી કરવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે આજે મતદાર યાદી સુનવણીનો છેલ્લો દિવસ છે. અત્યાર સુધીમાં 13,18,818 અરજી સુનવણી પૂર્ણ થઇ છે. જેમાં મતદારોના કેસમાં સુનવણી બાકી છે તે26,127ની આજે છેલ્લા દિવસે સુનવણી થશે. ત્યારે સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થયે તા.17 ફેબ્રુઅરીના રોજ કેટલા નામ રદ થશે કેટલા નહીં તે જાહેર થશે. હિયરીંગમાં નામ ન આવે તો તેમને અપીલ કરવાની થાય અથવા તો ફોર્મ 6 ભરવાનું થાયફાઇનલ મતદાર યાદી 17 ફેબ્રુઆરીએ તંત્ર દ્વારા પ્રકાશિત કરાશે. જેમાં જે પણ મતદારોના નામ રદ થઈ ગયા હશે. આ મતદારો પૂરતા પુરાવા સાથે ફોર્મ નંબર 6 ભરીને પોતાનું નામ મતદાર યાદીમાં પુનઃ દાખલ કરવા માટે પ્રક્રિયા કરી શકશે. તંત્ર દ્વારા ચકાસણી કરી પુરાવા યોગ્ય હશે તો નામ દાખલ થઈ શકશે.- સુદીપ કુમાર શાહ, નાયબ ચૂંટણી અધિકારી
નળ સે જળ કે છળ?:રૂ. 42 કરોડ ખર્ચ કરવા છતાં પાણીના પોકારો
સુરેન્દ્રનગર મહાપાલિકાના વઢવાણ શહેરમાં 2024-2 025માં પાણીની પાઇપ લાઇન નાંખવા આવી હતી. જેમાં વઢવાણની શેરી મુખ્ય બજારમાં ઠેર ઠેર ખોદકામ થયું હતું. આ મોતના ખાડાઓને લીધે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વઢવાણ શહેર આખું ખોદી નાંખતા વઢવાણ નગર ખાડા નગર બની ગયું છે. કરોડોનો ખર્ચ પણ ઠેરઠેરખાડા વઢવાણ શહેરમાં અમૃત યોજના 2 હેઠળ રૂપિયા 42 કરોડથી વધુ ખર્ચ કરવામાં આવ્યો છે. જેનું લોકાપર્ણ મુખ્યમંત્રીએ બે દિવસ પહેલા કર્યું છે પરંતુ વઢવાણના લોકોને ફાયદો થયો નથી. વઢવાણમાં ઠેર ઠેર ખાડા, બિસ્માર રસ્તા, ગંદકી મળી છે. અમોને દરરોજ શુદ્ધ પીવાનું પાણી મળે તેવી લોકોની માંગ છે. તે તંત્રને અણઆવડત છતી થાય છે. આથી વઢવાણના લોકોને નિયમિત પાણી મળી રહે તે માટેની માંગણી કરવામાં આવી છે.
ભાસ્કર બ્રેકિંગ:ટેક્સના નાણાંના સાતમા ભાગે વિકાસના MoU 3.60 કરોડમાં GIDCના 7 રસ્તા નવા બનશે
સુરેન્દ્રનગર મનપામાં આવતી વઢવાણ જીઆઇડીમાં રસ્તા સહિતની પાયાની સુવિધા ન મળતા ઉદ્યોગકારો, કારીગરોની સાથે વાહન ચાલકો વર્ષોથી મુશ્કેલી વેઠી રહ્યા છે. ત્યારે જીઆઇડીસી અને મનપા વચ્ચે તાજેતરમાં એમઓયુ થયા છે. જેમાં જીઆઇડીસી જે વર્ષે રૂ.4 કરોડનો ટેક્ષ ભરે છે તેનો સાતમો ભાગ વિકાસ માટે મનપા પરત આપશે. જેમાં 7 રસ્તા નવા બનાવશે. વઢવાણ જીઆઇડીસીમાં 750થી વધુ નાના મોટા ઉદ્યોગો ધમધમી રહ્યા છે. તેમાં કારીગરો અને ઉદ્યોગકારોની સાથે માલ લઇ જવા અને લાવવા માટે 21 હજારથી વધુ લોકો અને 25 હજારથી વધુ વાહનો અવર જવર કરી રહ્યા છે. પરંતુ છેલ્લા 4 વર્ષથી વધુ સમયથી જીઆઇડીસીના મોટા ભાગના રસ્તા ઉબડ ખાબડ બની ગયા છે. લાઇટ, પાણી, ગટરની પણ વ્યવસ્થા નથી. આ બાબતે જીઆઇડીસીના એસોસિયેશને અનેકવાર રજૂઆતો કરી હતી. પરંતુ સમસ્યા દૂર થતી ન હતી. ત્યારે મનપા થતા જીઆઇડીસી અને મનપાએ એમઓયુ થતાં હવે લોકોની સમસ્યા હળવી બનવાની આશા બંધાઇ છે. આ 7 મુખ્યા રસ્તા બનાવવામાં આવશે ટેન્ડર ગાંધીનગર મંજૂરી માટે મોકલવું પડશે જીઆઇડીસી દ્વારા 7 રસ્તા બનાવવા માટે ટેન્ડર બહાર પડાયું હતું. જેમાં વર્તમાન સમયે માત્ર એક જ ટેન્ડર આવ્યું છે. આથી નિયમ અનુસાર એકથી વધારે ટેન્ડર ન હોય તો તેને પાસ કરવા માટે ગાંધીનગર મોકલવું પડે છે. આમ ગાંધીનગરથી પાસ થઇને આવ્યા બાદ અંદાજે 15 દિવસ બાદ આગળની કાયવાહી થઇ શકશે. ટેક્ષમાંથી 75 ટકા રકમ વિકાસ માટે આપવા માંગ GIDCમાં સુવિધાની જવાબદારી સરકારની હોવાનું કહીને અમારી પાસે ટેક્ષ ઉઘરાવી લેવામાં આવતો હતો. આજે મનપાએ ટેક્ષમાંથી સાતમો ભાગ વિકાસ માટે આપવાનું આયોજન કર્યુ છે તે સારી બાબત છે. પરંતુ ટેક્ષની રકમમાંથી 75 ટકા વિકાસ માટે આપે તેવી અમારી માંગને લઇ બોડી બેઠા પછી લેવામાં આવશે. > સુમિત પટેલ, પ્રમુખ વઢવાણ જીઆઇડીસી
ઉત્તરપ્રદેશના સુલતાનપુરાની વૃધ્ધા ગુસ્સામાં ટ્રેનમાં બેસીને નીકળી ગયા હતા. જેઓ ફરતાં ફરતાં થરાદ પહોચ્યા હતા. જ્યાંથી 181 અભયમની ટીમે પાલનપુર સખી વન સ્ટોપ સેન્ટરમાં મુક્યા હતા. ટીમે બે દિવસ કાઉન્સેલીંગ કરી વૃધ્ધાના પરિવારને શોધી તેમની સાથે સુખદ મિલન કરાવ્યું હતુ. વાવ થરાદ જિલ્લા 181 અભયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સિલરે જણાવ્યું હતુ કે, થરાદ નજીક ઠંડીમાં વૃધ્ધા બેઠા હોવાનો કોલ મળતાં ટીમ સાથે ત્યાં પહોચ્યા હતા. પહેલા તો વાત કરવા જ તૈયાર નહોતા. પરંતુ પ્રેમથી શાંતિપૂર્વક અમે તમારી મદદ માટે આવ્યા છીએ. તમારા ઘર સુધી પહોંચાડીશું તેમ કહેતા વૃધ્ધાએ સુલતાનપુર (ઉત્તર પ્રદેશ)ની હોવાનું અને ગુસ્સામાં ઘેરથી નીકળતાં ટ્રેનમાં ગુજરાતમાં આવી ગઇ હોવાનું હવે ઘર મળતું નથી. મારે પાંચ બાળકો છે. મારે મારા ઘરે જવું છે. તેમ કહેતા પાલનપુર સખી વન સ્ટોપ સેન્ટરમાં મુકી હતી. આ અંગે સખીવન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલિકા નિલોફરબેને જણાવ્યું હતુ કે, બે દિવસના કાઉન્સિંગમાં વૃધ્ધાએ સુતલાનપુરનું નામ બોલતાં તેણીનો ફોટો ત્યાંના સખીવન સ્ટોપ સેન્ટરમાં મોકલ્યો હતો. તપાસના અંતે વૃધ્ધાના પરિવાજનો મળી આવ્યા હતા. વૃધ્ધાને ત્યાં લઇ જઇ પરિવારજનો સાથે મિલન કરાવ્યુું હતુ.
ગોઝારો અકસ્માત સર્જાયો:સામઢી પાસે ડમ્પરની ટક્કરે યુવકનું મોત
જુના ડીસાથી સામઢી તરફ જતા માર્ગ પર સામઢી રાણાજીવાસ ચાર રસ્તા નજીક સોમવાર બપોરે રેતી ભરેલા ડમ્પરે યુવકને ટક્કર મારતા યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.અને ડ્રાઈવર વાહન મુકીને ફરાર થઈ ગયો હતો. પાલનપુર તાલુકાના સામઢી નાઢાણીવાસના રાહુલજી લીલાજી દૈદરા સોમવાર બપોરે સામઢી રાણાજીવાસ સરકારી દવાખાના નજીક આવેલ પોતાની ગેરેજથી નજીકની દુકાને પડીકી લેવા જતા હતા ત્યારે ચોકડી આગળ જુના ડીસાથી સામઢી તરફ ઓવરલોડ રેતી ભરીને જઈ રહેલા ડમ્પર નંબર જીજે-08-એયુ-1478 ના ચાલકે રાહુલજીને ટક્કર મારતા ટ્રકના નીચે આવી જતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતા આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા અને ગઢ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો લઈ લાશને ચંડીસર સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવી હતી.
સમૂહલગ્નનું આયોજન કરાયું:હિંમતનગરમાં રાજસ્થાની લુહાર સમાજના સમૂહલગ્નમાં 53 યુગલોએ નિકાહ પઢ્યા
હિંમતનગરમાં રાજસ્થાની લુહાર સમાજ વિકાસ ટ્રસ્ટના ઉપક્રમે સમાજનો સમૂહલગ્ન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે સમાજના કુલ 53 જોડાઓએ પરંપરાગત રીતિ-રિવાજ મુજબ લગ્નબંધનમાં બંધાઈને નવજીવનની શરૂઆત કરી હતી. સમૂહલગ્ન દ્વારા આર્થિક બચત સાથે સામાજિક એકતા મજબૂત બનતી હોવાનું મહેમાનોએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું. સમૂહલગ્નનું આયોજન ટ્રસ્ટના પ્રમુખ ઇકરામભાઈ (રાયગઢ) તથા અધ્યક્ષ સિરાજભાઈ (લુણાવડા)ના અધ્યક્ષસ્થાને કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન સમાજની એકતા, સંસ્કૃતિ અને સમરસતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. લગ્ન પ્રસંગે જોડાઓને આશીર્વાદ આપવા માટે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, તાલુકા ભાજપ મહામંત્રી ભવરસિંહ, સાબરકાંઠા જિલ્લા ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ રાજુભાઈ પંચાલ તેમજ પરબડા સરપંચ વિજાપુરા આકીબ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના કાર્યકરો તથા સમાજના આગેવાનોની નોંધપાત્ર ભૂમિકા રહી હતી.
હિંમતનગરના એક જ્વેલર્સમાં નોકરી કરતાં બે શખ્સોએ લગ્નની ખરીદી કરવા આવેલ પરિવારની બે દીકરીઓ પાસે ફીડબેક માટે ફોર્મ ભરાવ્યા બાદ આ પર્સનલ માહિતીનો દુરઉપયોગ કરી સગીરાને મેસેજ મોકલવાનું ચાલુ કરી વિવિધ બહાને ઘર સુધી પહોંચી જઈ સગીરાને જાળમાં ફસાવી હતી. સગીરાના 18 વર્ષ પૂરા થવાની રાહ જોઈ ઘેરથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી અજમેર જવા દબાણ કરવા દરમિયાન અજય તરીકે નામ આપનાર યુવાન મુસ્લિમ હોવાની ખબર પડતાં સગીરાએ તેના પરિવારમાં વાત કર્યા બાદ બ્લેકમેલિંગ કરી રહેલ યુવક અને તેના સાગરિતને સ્થળ પર જ પોલીસ બોલાવી પકડાવી દીધાનું અને મહેસાણા બ્રાન્ચમાં બદલી થયેલ ત્રીજાને મહેસાણાથી ઝડપી લેવાયો હતો. હિંમતનગર તાલુકાનો એક પરિવાર સાતેક મહિના અગાઉ પોતાની દીકરીના લગ્નની ખરીદી માટે હિંમતનગર એક જવેલર્સ પર ગયો હતો. ખરીદી બાદ કંપનીના બે કર્મચારી મનીષ ગઢવી અને તેની સાથે અજય નામ આપનાર જેનું સાચું નામ મહંમદ શાકીર સરદાર મોહમ્મદ શેખ હતું બંને જણાએ ફીડબેક અને નવી સ્કીમની જાણકારી આપવાનું કહી સગીરા તેની બહેન તથા પરિવારના અન્ય સભ્યોના મોબાઈલ નંબર ઈમેઇલ આઈડી અને સરનામા મેળવી લીધા હતા. મનીષ ગઢવી અને શાકીર નામના યુવકે પોતાની ઓળખ છુપાવી હિન્દુ નામ ધારણ કરી સગીરા સાથે સંપર્ક વધારવાનું શરૂ કર્યુ હતું. બંનેએ સગીરા અને તેના પરિવારના સભ્યોને મેસેજ અને કોલ કરવાનું શરૂ કર્યું. વિવિધ ઉપહાર આપવાના બહાને ઘર સુધી પહોંચી ગયા હતા અને મિત્રતા કેળવ્યા બાદ સગીરાની હોસ્ટેલ પણ જઈ આવ્યા હતા. આ દરમ્યાન રેસ્ટોરન્ટમાં ચા નાસ્તો કરતી વખતે ફોટા પણ પાડી લીધા હતા. પોક્સો એક્ટ અને અન્ય કાયદાકીય પ્રક્રિયાથી બચવા મહંમદ શાકીર સરદાર મોહમ્મદ શેખે તા. 20-12-25 સુધી રાહ જોઈ હતી અને સગીરાને તેના ઘેરથી સોના ચાંદીના દાગીના લઈ તેની સાથે અજમેર જવા દબાણ કરવા દરમ્યાન અજય તરીકે ઓળખ આપનાર શખ્સ મહંમદ શાકીર સરદાર મોહમ્મદ શેખ (મૂળ રહે. ઉદેપુર રાજસ્થાન)એટલે કે મુસ્લિમ હોવાની ખબર પડી જતાં સગીરાએ ઇન્કાર કરતાં મહંમદ શાકીરે અલગ અલગ મોબાઈલ નંબરથી ઉઠાવી જવાની ધમકીઓ આપતાં ગભરાઈ ગયેલ યુવતીએ તેના પરિવારમાં વાત કરી હતી. આ બાદ સગીરાના પિતાએ તા. 6-02-26ના રોજ મહંમદ શાકીર સરદાર મોહમ્મદ શેખ(રહે. ઉદેપુર રાજસ્થાન) અને તેના સાગરિત મોહમદ સોહેલ સલીમ મોહમદ મકરાણી (રહે. મદની સોસાયટી આરટીઓ સર્કલ પાસે હિંમતનગર)ને હિંમતનગર મળવા જતાં તારી દીકરીના વીડિયો ફોટા વાયરલ કરી બદનામ કરી દઈશુની ધમકીઓ આપી રૂ.5 લાખની ખંડણી માંગતા પોલીસને જાણ કરી બંનનેે પકડી લેવાયા હતા. જ્યારે મનીષ ગઢવીને મહેસાણાથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ સાવચેતી રાખો પોલીસે મહંમદ શાકીર સરદાર મોહમ્મદ શેખ(રહે. ઉદેપુર ) તેના સાગરિત મોહમદ સોહેલ સલીમ મોહમદ મકરાણી (રહે. મદની સોસાયટી આરટીઓ સર્કલ પાસે હિંમતનગર) ને તા. 7-02-26 અને મનીષ ગઢવીને તા. 9-02-26 ના રોજ કોર્ટમાં રજૂ કર્યા બાદ ત્રણેયને જેલમાં મોકલી અપાયા હોવાનું એ ડિવિઝન પીએસઆઇ નારાયણસિંહ વાઘેલાએ જણાવ્યું હતું. પોલીસે તેમના મોબાઇલ જે તે દિવસે કબ્જે લઇ તપાસ માટે મોકલી આપ્યા છે. પીઆઇ પીએમ ચૌધરીએ જણાવ્યું કે આ ડેટા કેવી રીતે લીક થયો તેની વિગતો મંગાઇ છે. તે મળ્યા બાદ જવાબદારી ફિકસ કરાશે. કંપની જે હેતુ માટે ડેટા લે છે તેનો ઉપયોગ ફક્ત તેના માટે જ કરી શકેજે કંપની કે સંસ્થા ડેટા મેળવે છે (જેમ કે મોલ કે દુકાન), તેને ડેટા ફિડ્યુશિયરી કહેવાય છે. કંપની જે હેતુ માટે ડેટા લે છે તેનો ઉપયોગ ફક્ત તેના માટે જ કરી શકે. તે ડેટાનો ઉપયોગ અન્ય કોઈ કામ માટે કે કર્મચારીઓ દ્વારા અંગત હેતુ માટે થઈ શકે નહીં. કંપનીએ ડેટા સુરક્ષિત રાખવા મજબૂત ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે જેથી ડેટા લીક ન થાય. જે વ્યક્તિનો ડેટા છે (જેમ કે સગીરા કે તેનો પરિવાર), તેને ડેટા પ્રિન્સિપલ કહેવાય છે. ડેટા લેતાં પહેલા વ્યક્તિની સ્પષ્ટ મંજૂરી લેવી ફરજિયાત છે. ગ્રાહક ઈચ્છે તો કંપનીએ તેનો ડેટા તેમના રેકોર્ડમાંથી ડિલીટ કરવો પડે. સગીરના કિસ્સામાં આ કાયદો અત્યંત કડક છે. બાળકો કે સગીરોના ડેટાનો ઉપયોગ એવી રીતે ન કરી શકાય જેનાથી તેમના સ્વાસ્થ્ય કે સુરક્ષા પર જોખમ ઊભું થાય.બાળકોના ડેટાના આધારે તેમને ટ્રેક કરવા કે ટાર્ગેટેડ એડવર્ટાઈઝિંગ કરવું પણ પ્રતિબંધિત છે. ડેટા ફિડ્યુસીયરી દ્વારા પાલન ન થવા બદલ ભારે નાણાકીય દંડ લાદે છે.... સિનિયર એડવોકેટ ઉર્વશીબેન ત્રિવેદીએ જણાવ્યું કે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન (DPDP) એક્ટ 2023 તાજેતરમાં અમલમાં આવ્યો છે. ડેટા ફિડ્યુસીયરી દ્વારા પાલન ન થવા બદલ ભારે નાણાકીય દંડ લાદે છે. ડેટા ફિડ્યુસીયર્સ દ્વારા યોગ્ય સુરક્ષા પાળવામાં નિષ્ફળતા માટે મહત્તમ 250 કરોડ સુધીનો દંડ લાગુ પડે છે. વ્યક્તિગત ડેટા ભંગ અને બાળકો સંબંધિત જવાબદારીઓના ઉલંઘન વિશે બોર્ડ અથવા અસરગ્રસ્ત વ્યક્તિઓને સૂચિત કરવામાં નિષ્ફળતા દરેકને 200 કરોડ સુધીનો દંડ થઈ શકે છે. ડેટા -ફિડ્યુસીયર્સ દ્વારા કાયદા અથવા નિયમોના કોઈપણ ઉલ્લંઘનમાં 50 કરોડ સુધીનો દંડ થઈ શકે છે. જેના માટે ડિજિટલ ડેટા પ્રોટેકશન બોર્ડ ઓફ ઇન્ડિયામાં ઓનલાઇન ફરિયાદ કરવાની રહે છે.
અંધેરીની મહિલા કોન્સ્ટેબલના વાળ ચકરડામાં ફસાઈ જતાં ચામડી સાથે ઉખડી ગયા
મુંબઈ પોલીસની ડ્રાઈવરને સતારાના મેળામાં અકસ્માત સાથે બેઠેલાં યુવક યુવતીની બૂમો કોઈને સંભળાઈ નહીં ઃ સળીયામાં ઁઅટવાયેલા વાળ કાતરથી કાપી નીચે ઉતારાઈ મુંબઈ - અંધેરીમાં રહેતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ તેના વતન સાતારાના જાવળી તાલુકામાં મ્હસવે, વડાચે ગામમાં યોજાયેલા મેળામાં આકાશ ચકરડામાં ગંભીર ઈજા પામી હોવાની ઘટના બની હતી. ચકરડામાં બેઠા બાદ લોખંડી સળીયામાં તેના લાંબા વાળ અટકી જતાં વાળ ચામડી સાથે ઉખડી ગયા હતા. જખમી મહિલા પોલીસની પુણેમાં સારવાર ચાલી રહી છે.
અમદાવાદ જિલ્લા અદાલતે રાજકોટના એક પુરુષ અને તેના પરિવારજનોને શ્રાવણ માસ દરમિયાન પત્નીને જુગારની પરંપરામાં ભાગ લેવા માટે મજબૂર કરીને તેને હેરાન કરવા બદલ દોષિત ઠેરવ્યા છે અને ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ પતિને માસિક ભરણપોષણ, ઘરભાડા માટે સહાય તથા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. મહિલાએ કહ્યું- તે શિક્ષિત પરિવારમાંથી, જુગાર રમશે નહીંકેસની વિગતો મુજબ હાલ નિકોલ વિસ્તારમાં રહેતી મહિલાએ જાન્યુઆરી, 2017માં રાજકોટના એક કરિયાણાની દુકાન ચલાવતા યુવક સાથે લગ્ન કર્યા હતા. શરૂઆતમાં બધું ઠીક હતું, પરંતુ શ્રાવણ માસ દરમિયાન તેના સાસરીયાઓએ ઘરમાં સૌ જુગાર રમતા હોવાથી તેને પણ જુગારમાં ભાગ લેવા માટે આગ્રહ કર્યો હતો. મહિલાએ પોતે શિક્ષિત પરિવારમાંથી આવતી હોવાને કારણે જુગાર નહીં રમે તેવું કહીને ઇનકાર કર્યો હતો. માતા-પિતાથી પૈસા લાવવા માટે દબાણ શરૂ કર્યુંજુગાર રમવાનો ઇનકાર કર્યા બાદ પરિવારના વર્તનમાં ફેરફાર આવ્યો હોવાનું તેણે જણાવ્યું છે. સાસરીયાઓએ પોતે જુગાર ન રમે તો પણ જુગાર માટે તેના માતા-પિતાથી પૈસા લાવવા માટે દબાણ શરૂ કર્યું હતું. તેના કહેવા મુજબ આ જુગારમાં માત્ર પરિવારજનો નહીં, પરંતુ ઓળખીતાઓ પણ સામેલ હતા. વિવાદ વધતા તેણે આક્ષેપ કર્યો હતો કે જો તે જુગાર નહીં રમે તો પતિ સાથે છૂટાછેડા લેવા જેવી પરિસ્થિતિ પરિવાર દ્વારા ઉભી કરવામાં આવી. અંતે તેણે 2019માં સાસરું છોડ્યું હતું. મહિલાની પતિ સહિત પાંચ સામે ઘરેલુ હિંસાની ફરિયાદતેણે સાસરું છોડ્યા બાદ સાસરીયાઓએ તેના વિરુદ્ધ છેતરપિંડી અને ઘરેણાં લઈ જવાનો આક્ષેપ કરતી FIR નોંધાવી હતી. ત્યારબાદ મહિલાએ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી JMFC કોર્ટમાં પતિ અને તેના પાંચ સગાંઓ વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ કરી હતી અને સાસરેથી કાઢી મુકવામાં આવી હોવાનું જણાવ્યું હતું. પતિને દર મહિને 5 હજાર ભરણપોષણ ચૂકવવા હુકમસાસરીયાઓએ આક્ષેપો ખોટા હોવાનું કહીને તેમના દ્વારા કરાયેલી પોલીસ ફરિયાદોને આધાર બનાવ્યા હતા. જો કે અદાલતે મહિલાની હેરાનગતિ અંગેની વાત સ્વીકારી હતી. પતિની આવક સાબિત ન થઈ શકતાં, અદાલતે સક્ષમ વ્યક્તિની સરેરાશ આવકના આધારે પતિને દર મહિને 5 હજાર ભરણપોષણ ચૂકવવાનો અને ઘરભાડા માટે વધારાના 2 હજાર રૂપિયા પ્રતિ મહિને ચૂકવવાનો આદેશ આપ્યો છે.
મુસાફરો માટે રાહતના સમાચાર:ખેડબ્રહ્માથી નારાયણ સરોવર એસટી બસ શરૂ કરાતાં રાહત
ખેડબ્રહ્મા એસ.ટી.ડેપો દ્વારા ખેડબ્રહ્મા તાલુકામાં વસતા કચ્છી સમાજના લોકો તથા યાત્રાળુઓ માટે ખેડબ્રહ્માથી નારાયણ સરોવર એસટી બસ શરૂ કરાતાં ખેડબ્રહ્મા પાલિકા પ્રમુખ પ્રિયંકાબેન ખરાડીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. બસ સાંજના 6 કલાકે ઉપડી ઇડર હિંમતનગર વિજાપુર મહેસાણા રાધનપુર ભૂજ નખત્રાણા દયાપર પાનધ્રો થઈ નારાયણ સરોવર ખાતે સવારના 6 કલાકે પહોંચશે. જેનો શુભારંભ પંકજદાસ મહારાજના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે કચ્છી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખેડબ્રહ્માથી નારાયણ સરોવરનું ભાડુ 425 રૂપિયા રહેશે.
સાબરકાંઠામાં આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત બાળકોની તપાસ કરાય છે. આ દરમિયાન જિલ્લામાં વર્ષ 2023 થી દર વર્ષે લગભગ 4 લાખ કરતાં વધારે બાળકોનું સ્ક્રિનિંગ કરાયું હતું. જેમાંથી ત્રણ વર્ષ દરમિયાન 992 બાળકોને વિવિધ બીમારીઓ હોવાનું સામે આવ્યું હતું. ત્રણ વર્ષમાં હ્રદય સંબંધિત બીમારી હોય તેવા 584 બાળકો, કિડની સંબંધિત બિમારીના 146 બાળકો, કેન્સર સંબંધિત બીમારીના 93 બાળકો, થેલેસેમિયા સંબંધિત બીમારીના 2 બાળકો તથા અન્ય બીમારીના જેમાં દાંત, આંખને લગતાં, કાનની લગતાં બીમારી ધરાવતાં 167 બાળકો મળતાં નિદાન કરાયું હતું. વર્ષ 2023માં 249 બાળકો, વર્ષ 2024માં 187 બાળકો તથા વર્ષ 2025માં 152 બાળકોને હ્દય સંબંધિત બીમારી હોવાનું નિદાન કરી તેમની યોગ્ય સારવાર ચાલુ કરાઇ હતી. વર્ષ 2023માં કિડની સંબંધિત 57, વર્ષ 2024માં 48 તથા વર્ષ 2025માં 41 બાળકો મળ્યા હતા. કેન્સરના વર્ષ 2023માં 26, વર્ષ 2024માં 34 તથા વર્ષ 2025માં 33 બાળકોને કેન્સર હોવાનું નિદાન થયું હતું. જિલ્લામાં વર્ષ 2025 દરમિયાન આર.બી.એસ.કે. કાર્યક્રમ અંતર્ગત કુલ 29 ટીમો દ્વારા આંગણવાડીના બાળકોની વર્ષમાં બે વાર તેમજ અભ્યાસ કરતાં બાળકોની વર્ષમાં એક વાર ચકાસણી કરાય છે. હ્રદયરોગની બીમારીના 152 બાળકો શોધેલ જેમાંથી 53 બાળકોના ઓપરેશન થયા છે. ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ વાળા 10 તેમજ રૂટિનોપેથી ઓફ પ્રિમેચ્યોરિટી હોય તેવા 12, જન્મજાત મોતિયો વાળા 7, જન્મજાત બધિરતા વાળા 9 બાળકો મળ્યા છે. જન્મજાત કપાયેલ હોઠની બીમારી વાળા 27 બાળકો અને ક્લબ-ફૂટની ખામી વાળા 23 બાળકોને શોધીને સારવાર કરાવાઇ હતી. અન્ય ગંભીર બીમારીઓવાળા 42 બાળકો મળીને કુલ 498 બાળકોને સુપર સ્પેશ્યલ સારવાર અપાવવા મંજૂરીપત્રો આપી સઘન સારવાર અપાઇ છે.
SIRની કામગીરી:સાબરકાંઠા જિલ્લામાં 1.76 લાખ મતદારોની સુનાવણી પ્રક્રિયા પૂર્ણ
સાબરકાંઠામાં એસઆઈઆર પ્રક્રિયા હાથ ધરાવતા પ્રથમ તબક્કામાં 1 લાખ મતદારોનો ઘટાડો થયા બાદ હવે આખરી ચરણમાં નો મેપિંગ અને લોજિસ્ટિક એરર વાળા ફુલ 1,76,289 મતદારોએ રજૂ કરેલ પુરાવા આધારે વેરિફિકેશન અને સુનાવણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જે ના અનુસંધાને સક્ષમ અધિકારી દ્વારા નિર્ણય લેવાયા બાદ 17 ફેબ્રુઆરીએ જાહેર થનાર આખરી મતદાર યાદીમાં કોનો સમાવેશ થયો છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન શરૂ કરી મતદાન ગણતરી ફોર્મ વિતરણ અને એને પરત મેળવી ડિજિટાઇઝેશનની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં જિલ્લાના કુલ 11,61,128 મતદારો પૈકી 33,147 મૃત્યુ 44,988 કાયમી સ્થળાંતરિત 11,352 ગેરહાજર 9400 બે જગ્યાએ તથા 1000 થી વધુ મતદારો અન્ય કારણોસર જુની યાદીમાંથી રદ કરી ડ્રાફ્ટ એસઆઈઆર યાદી જાહેર કરાઈ હતી. જેમાં 10,61,218 મતદાર નોંધાયેલા હતા.
પીવાના પાણીના ધાંધિયા:પાલનપુરના જુના લક્ષ્મીપુરા ગામમાં પીવાના પાણીની તંગીથી લોકો હેરાન
પાલનપુરના જુના લક્ષ્મીપુરા વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી ધરોઈનું પીવાનું પાણી આપવામાં આવતું ન હોવાને કારણે લોકો પાણી માટે બોરના ક્ષાર વાળા પાણીનો ઉપયોગ કરી રહ્યા છે.બીજી બાજુ પંચાયતના સંપમાં પાણી ના આવતા ધરોઈ વિભાગને જાણ કરવામાં આવી રહ્યું હોવાનું તંત્ર દ્વારાજાણવા મળ્યું છે. પાલનપુરના જુના લક્ષ્મીપુરા વિસ્તારના લોકો પાણી અને ગંદકી એમ બે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી ધરોઈનું પીવાનું પાણી બંધ રહેતા સ્થાનિકોને મજબૂરીવશ બોરવેલના ક્ષારવાળા પાણીનો ઉપયોગ કરવો પડી રહ્યો છે, જે આરોગ્ય માટે હાનિકારક હોવાનું જણાવી રહ્યા છે. બીજી તરફ છેલ્લા એક મહિનાથી વધુ સમયથી કચરો લેવા માટે ટ્રેક્ટર ન આવતા વિસ્તારમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. ગંદકી અને દુર્ગંધના કારણે રોગચાળાનો ભય ઊભો થયો છે. વારંવાર રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં ભારે અસંતોષ ફેલાયો છે અને તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ ઉઠી છે. આ અંગે તલાટી મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, ધરોઈના પાણી થોડા દિવસથી પંચાયતના સંપમા ના આવતા ધરોઈ વિભાગને જાણ કરવામાં આવી છે. અને ગામમાં સફાઈ પણ રેગ્યુલર કરવામાં આવે છે. પરંતુ છતાં કોઈ વિસ્તારમાં અછત સામે આવશે તો રેગ્યુલર સફાઈ ચાલુ કરાવી દેશો.
તેરા તુજકો અર્પણ કાર્યક્રમ:વાગડોદ પોલીસે સાયબર ફ્રોડમાં ગુમાવેલા રૂ. 10,503 અરજદારોને પરત અપાવ્યા
ભાસ્કર ન્યૂઝ |નાયતા વાગડોદ પોલીસે ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોને આર્થિક રાહત અપાવી છે. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પોલીસે NCCRP પોર્ટલ પર મળેલી ફરિયાદો પર ત્વરિત કાર્યવાહી કરી કુલ 10,503નું રિફંડ અપાવ્યું છે. એસપી, સિદ્ધપુર DYSP કે.કે. પંડ્યા અને PI પી.એમ. બોડાણાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કામગીરી દ્વારા અરજદારોને થયેલ આર્થિક નુકસાન અટકાવવામાં આવ્યું છે. પોલીસે લોકોને સાયબર ફ્રોડના કિસ્સામાં જાગૃત રહી તુરંત ફરિયાદ કરવા અપીલ કરી છે.
પાલનપુરમાં અમદાવાદ હાઈવે બ્રિજ નજીક બની રહેલી બાંધકામ સાઈટ પર અંડરપાસના સર્વિસ રોડ નજીક માટી ધસી જતા દુર્ઘટના સર્જાતા સહેજમાં રહી ગઈ ગઈ હતી. રોડ નીચેની માટી ધસતા જમીન નીચેની પાઇપલાઇન પણ દેખાવા લાગી હતી. બિલ્ડરે અમદાવાદ હાઈવે પર ના અંડર પાસ પાસેના રોડની બાજુમાં કેટલીક સોસાયટીને જોડતા સર્વિસ રોડ પરની અવરજવર બંધ કરાવવવા બેરીકેટ લગાવી દીધું હતું. બીજી તરફ સાઈવિલા કન્સ્ટ્રક્શન સાઈટના બિલ્ડરે જણાવ્યું કે અમે રીપેર કરાવી દઈશું.તો બીજીતરફ માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક એન્જિનિયરે જણાવ્યું હતું કે તાત્કાલિક અસરથી કામ બંધ કરાવીને એજન્સી પાસે રીપેરીંગ કરાવવા કહ્યું છે. નગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું કે સવારે સ્થળ તપાસ કરીને જરૂરી સૂચના આપીશું.
હડકવાથી મોત થયું:દાંતાના કુંડેલ ગામે કૂતરું કરડ્યા પછી રસી ન લેતાં મહિલાનું હડકવાથી મોત
દાંતા તાલુકાના કુંડેલ ગામની એક 40 વર્ષીય મહિલાને કૂતરું કરડ્યા બાદ સમયસર રસી ન લેવાતા હડકવા (રેબીસ)ની અસર થતાં અંતે તેનું મોત થયું હોવાનું પાલનપુર સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટએ ભાસ્કરને જણાવ્યું છે. દાંતા તાલુકાના કુંડેલ ગામે છ માસ અગાઉ મહિલાને કૂતરું કરડ્યું હતું. પરંતુ મહિલાએ રસી લેવાની કોઈ દરકાર લીધી નહોતી. છ માસ બાદ અચાનક મહિલાને હડકવા ઉપડતાં પરિવારજનો સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ અંગે સિવિલ અધિક્ષક ડો. સુનિલ જોષીએ જણાવ્યું હતુ કે, તબીબોએ પ્રાથમિક સારવાર આપી હતી. જોકે હડકવાના કેસમાં ચોક્કસ ઈલાજ કે દવા ન હોવાના કારણે તબીબોએ પરિસ્થિતિ ગંભીર હોવાનું જણાવ્યું હતું. પરિવારજનોએ અમદાવાદ સિવિલ હોસ્પિટલનું બહાનું કરીને મહિલાને ઘરે લઈ ગયા હતા જ્યાં તેનું મોત થયું છે.
વેધર રિપોર્ટ:દિવસે 32 ડિગ્રીના કારણે ગરમી અને રાત્રે 15.5 ડિગ્રી નીચા તાપમાનથી હળવી ઠંડી રહી
ઉત્તર ગુજરાતમાં સોમવારે દિવસ અને રાતના તાપમાનમાં પોણા ડિગ્રીથી લઈને દોઢ ડિગ્રી સુધીનો ઉતાર-ચઢાવ નોંધાયો હતો. તેમ છતાં, સવારે હળવી ઠંડી અને બપોરે ગરમીના અહેસાસ વચ્ચે બેવડી ઋતુનો અનુભવ યથાવત રહ્યો હતો. અનુમાન મુજબ, આવી સ્થિતિ આગામી સપ્તાહ સુધી યથાવત રહેવાની શક્યતા છે. છેલ્લા બે દિવસથી ઉત્તર ગુજરાતમાં સવારના સમયે ભેજનું પ્રમાણ ઘટતું જઈ રહ્યું છે, જ્યારે બપોરના સમયે તેમાં વધારો નોંધાઈ રહ્યો છે. ભેજમાં આવેલા આ ફેરફાર વચ્ચે સોમવારે દિવસ-રાતના તાપમાનમાં પોણા ડિગ્રી સુધીની વધ-ઘટ જોવા મળી હતી. ઠંડીનો પારો 15થી 15.5 ડિગ્રી વચ્ચે રહેતાં સવારના સમયે હળવી ગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો. બીજી તરફ, પોણા ડિગ્રીના ઘટાડા સાથે દિવસનું મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. બપોરના સમયે વધેલા ભેજના કારણે સતત બીજા દિવસે દિવસના તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. તેમ છતાં, હવામાનમાં બેવડી ઋતુનો અહેસાસ યથાવત રહ્યો હતો.
ભાસ્કર એક્સક્લુસિવ:મહાશિવરાત્રીથી પાલનપુરમાં સીટી બસ શરૂ થશે,પ્રથમ 2 કિલોમીટર સુધી 5 રૂપિયા ભાડું
મુખ્યમંત્રી શહેરી બસ સેવા અંતર્ગત મહાશિવરાત્રીથી પાલનપુર શહેરમાં સીટી બસ સેવા શરૂ થવાની છે, જે શહેરવાસીઓ માટે પરિવહનનું મહત્વપૂર્ણ અને રાહતરૂપ સાધન બનશે. આ યોજનામાં કુલ 9 બસો મુકવામાં આવશે,જેમાં ઉદઘાટનના દિવસે પ્રથમ તબક્કામાં 6 બસોથી સેવા શરૂ કરવામાં આવશે. મિનિમમ ભાડું અંદાજિત 2 કિલોમીટર સુધી માત્ર 5 રૂપિયા રાખવામાં આવ્યું છે,જેથી સામાન્ય નાગરિકો, વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ તેમજ વડીલોને સસ્તી અને સુલભ મુસાફરી મળી રહેશે. હાલમાં ગુરુનાનક ચોક ખાતે સીટી બસ સેવાનો મુખ્ય કંટ્રોલરૂમ કાર્યરત રહેશે. શહેરના ટ્રાફિકની સ્થિતિ, લોકોની અવરજવરનો સમય, મુસાફરોની માંગ તથા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને બસ રૂટ નક્કી કરવામાં આવશે. ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન ભારતીબેન અંબાલાલ રંગવાણીએ જણાવ્યું હતું કે સીટી બસ સેવા સંચાલન કરતી એજન્સીને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં 15 વર્ષનો અનુભવ છે તેમજ હાલ પાંચ શહેરોમાં સફળતાપૂર્વક સીટી બસ સેવા કાર્યરત હોવાનું પણ જણાવાયું છે. શહેર દિવસે ને દિવસે વિસ્તરી રહ્યું છે અને વધતા વાહનવ્યવહાર વચ્ચે સલામત તથા સુવિધાજનક સવારી માટે સીટી બસ સેવા અત્યંત મહત્વની સાબિત થશે. આ સેવા શરૂ થવાથી ખાનગી વાહનો પરનો ભાર ઘટશે, ટ્રાફિક સમસ્યામાં રાહત મળશે તેમજ પર્યાવરણ સંરક્ષણને પણ પ્રોત્સાહન મળશે. ભવિષ્યમાં જરૂરિયાત ઊભી થશે તેમ સીટી બસના રૂટ તેમજ બસોની સંખ્યા વધારવાની પણ યોજના છે. ઉલ્લેખનીય છે કે પાલનપુર શહેરમાં અગાઉ સીટી બસ સેવા બંધ થયા બાદ ઘણા વર્ષો પછી ફરી એકવાર જાહેર પરિવહન વ્યવસ્થા શરૂ થવા જઈ રહી છે. લાંબા સમયથી શહેરવાસીઓ દ્વારા સીટી બસની માંગ કરવામાં આવી રહી હતી, જે હવે સાકાર થતી જોવા મળી રહી છે. 100ના રિચાર્જમાં 20 ટકા ડિસ્કાઉન્ટસીટી બસમાં પાસ સિસ્ટમ પણ અમલમાં મુકવામાં આવશે. મુસાફરોને ₹100 આપી એટીએમ જેવું કાર્ડ ખરીદવું પડશે, ત્યારબાદ ઓછામાં ઓછા ₹100નું રિચાર્જ કરાવી પાસ મેળવવાનો રહેશે. આ પાસ દ્વારા મુસાફરીમાં 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે અને આ સુવિધાનો ઉપયોગ નાગરિક કરી શકશે.રૂટ પ્રમાણે આમ તો 2 કિલોમીટર સુધી 5 રૂપિયા ભાડું નિર્ધારિત કરાયું છે. જે 100ના રિચાર્જમાં 20 ટકા ડિસ્કાઉન્ટમાં ઉબલબ્ધ રહેશે.
દબાણો દૂર કરીને રસ્તા પહોળા કરાશે:પાલનપુર ગોબરી રોડ નજીકના 10 દબાણો તોડી પડાશે
પાલનપુરમાં ગોબરીરોડ થી જગાણા વચ્ચેનો માર્ગ 10 મીટર પહોળો બનાવવામાં આવી રહ્યો છે.આ કામગીરીમાં કર્ણાવત હાઇસ્કુલથી માર્કેટયાર્ડના પ્રવેશ દ્વાર સુધીના માર્ગ ઉપર દબાણો દૂર કરવા માટે 10 દબાણકર્તાઓને સોમવારે આખરી નોટિસ આપવામાં આવી છે.જ્યાં ગુરૂવારથી પોલીસ રક્ષણ સાથે દબાણો ઉપર બુલડોઝર ફેરવવામાં આવનાર છે. પાલનપુર શહેરમાં એરોમા સર્કલના ટ્રાફિકમાં ન ફસાવવું પડે તે માટે મોટાભાગના સ્થાનિક વાહન ચાલકો જે માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે. તે ગઠામણ દરવાજા- ગોબરીરોડથી જગાણા, ગોબરી પુલના રસ્તાને માર્ગ અને મકાન પંચાયત પાલનપુર પેટા વિભાગ દ્વારા 10 મીટર પહોળો રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યાં કર્ણાવત હાઇસ્કુલથી માર્કેટયાર્ડના પ્રવેશ દ્વાર સુધીના માર્ગ ઉપરના હયાત માર્ગ ઉપર મોટી કપચી પાથરી દેવામાં આવી છે. જોકે, સાઇડોમાં 10 થી વધુ લોકોએ કાચા- પાકા દબાણો કરી દીધા હોવાથી કામ અટકી ગયું છે. આ અંગે માર્ગ અને મકાન પંચાયત પાલનપુર પેટા વિભાગના અધિકારી આશિષભાઇએ જણાવ્યું કે, દબાણ દૂર કરવા માટે અગાઉ નોટિસો અપાઇ હતી. જોકે, દબાણ કર્તાઓએ જાતે દબાણો દૂર કર્યા નથી. આથી તેમને સોમવારે આખરી નોટિસ આપવામાં આવી છે. ગુરૂવારે પોલીસ રક્ષણ સાથે 10થી વધુ કાચા- પાકા દબાણો દૂર કરી રસ્તો પહોળો બનાવવાની કામગીરી આગળ વધારવામાં આવશે. રૂપિયા 3.63 કરોડના ખર્ચે રોડ પહોળો થશે માર્ગ અને મકાન પંચાયત પાલનપુર પેટા વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયા થયા પછી ગોબરીરોડથી જગાણા સુધી રૂપિયા 3.63 કરોડના ખર્ચે 10 મીટર રોડ પહોળો બની રહ્યો છે. જ્યાં નગરપાલિકા અને માર્કેટયાર્ડને સામેલ કરી માર્કેટયાર્ડના પ્રવેશ દ્વાર નજીક સર્કલ બનાવી માસ લાઇટ લગાવાશે. આ માર્ગ પહોળો બનશે ત્યારે શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ, 100થી વધુ સોસાયટીના રહિશોને ટ્રાફિક અને ખાડા ખરબચડા માર્ગની સમસ્યાથી કાયમી મુક્તિ મળશે.
પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે સફાઈ નિરીક્ષણ દરમિયાન શેરડીના કોલા પર કામ કરતા બે બાળકો ધ્યાને આવતા મજૂરીમાંથી મુક્ત કરાવી બાળ સુરક્ષા ગૃહમાં મોકલાયા હતા. બન્ને બાળકો હોઇ તંત્ર દ્વારા વાલીઓને જાણ કરી સ્થળ ઉપર બોલાવી ઘરે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. તરૂણો અને બાળ મજૂરીએ રાખનાર શેરડીના કોલાવાળા સામે કાનૂની કાર્યવાહી કરવા તજવીજ શરૂ કરાઈ છે. પાટણ શહેરમાં નવા સર્કિટ હાઉસ પાસે ચાણસ્મા હાઇવે પર વહેલી સવારે સફાઈ કામગીરીના નિરીક્ષણ દરમિયાન ચીફ ઓફિસરને બે માસૂમો શેરડીના કોલા ઉપર બાર મજૂરી કરતા જોવા મળ્યા હતા. બાળપણ રોળાતું હોય તેમણે તાત્કાલિક 1098 પર કોલ કરી ટીમને બોલાવી હતી. પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી કે પરપ્રાંતીય બાળકને દૈનિક માત્ર રૂ.300 ના વેતને રાખવામાં આવ્યો હતો. ગણતરીની મિનિટોમાં બાળ સુરક્ષા વિભાગની ટીમે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. શ્રમ વિભાગે 2025માં 50 બાળકોને મજૂરમાંથી છોડાવ્યા પાટણ જિલ્લા શ્રમ અધિકારી મનસ્વી કથીરિયાએ જણાવ્યું હતું કે વર્ષ 2025માં વિભાગ દ્વારા 32 જેટલી રેડ પાડી કુલ 391 એકમોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન 50 તરુણ શ્રમિકો મજૂરી કરતા મળી આવ્યા હતા, જેમાંથી 22 કિસ્સામાં કોર્ટ કેસ અને એક કિસ્સો ગંભીર જણાતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કેતનભાઈ પ્રજાપતિ અને પિયુષભાઈ દવે જણાવ્યું હતું કે બંને બાળકોને પાલડી સ્થિત બાળ સુરક્ષા ગૃહ ખાતે ખસેડાયા હતા. પાટણના સ્થાનિક બાળકને તેના વાલીની બાહેધરી બાદ મુક્ત કરાયો છે. જ્યારે, કાકા સાથે મજૂરી અર્થે આવેલા 14 વર્ષીય પરપ્રાંતીય કિશોર પાસે કોઈ દસ્તાવેજ ન હોવાથી તેને હાલ સંરક્ષણમાં રખાયો છે. તેના વાલી પુરાવા સાથે હાજર થયા બાદ અને વયની ખરાઈ થયા પછી જ સોંપવામાં આવશે. આ મામલે શ્રમ વિભાગને આગળની કાર્યવાહી માટે લેખિત જાણ કરવામાં આવી છે.
રાણકી વાવની ભવ્યતા બેવડાઈ:રાણકી વાવ ત્રિરંગા રંગોની રોશનીમાં ઝળહળી ઉઠી
પાટણના 1281માં સ્થાપના દિવસ નિમિત્તે વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ એક અનોખા અંદાજમાં જોવા મળી હતી. આ ઐતિહાસિક અવસરે રવિવારે રાત્રે વાવને કેસરી, સફેદ અને લીલા એમ ત્રિરંગાના રંગોની મનમોહક રોશનીથી સજ્જ કરવામાં આવતા સ્થાપત્યની ભવ્યતા બેવડાઈ હતી. રાત્રિના સમયે ઝગમગી ઉઠેલી વાવને જોવા મોટી સંખ્યામાં પાટણવાસીઓ ઉમટી પડ્યા હતા. સ્થાપના દિવસ નિમિત્તે અહીં વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. જેમાં પાટણના ગૌરવશાળી ઈતિહાસ અને વારસાને યાદ કરવામાં આવ્યો હતો. જેને મોટી સંખ્યામાં શહેરીજનોએ માણ્યો હતો.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:16 કરોડના ખર્ચે મુન્દ્રા સર્કલથી શિણાય રોડ ‘ચકાચક’
વર્ષ-2001 ના વિનાશક ભુકંપ બાદ આદિપુરના મુન્દ્રા સર્કલથી અંતરજાળ અને શિણાય તરફ જતા રસ્તા પર જેટ ગતિએ રહેણાક વિસ્તારનો વિકાસ થયો છે પરંતુ મુન્દ્રા તરફ જતા આ રસ્તાનું નવીનીકરણ વર્ષોથી થયું ન હોઇ બિસ્માર બન્યો હતો જે બાબતે અવાર નવાર રજુઆતો પણ થતી હતી. તેની વચ્ચે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુન્દ્રા સર્કલ થી શિણાય પોલીસ હેડ ક્વાર્ટર સુધીના 5 કિલોમીટર રસ્તાનું નવીનીકરણ કાર્ય શરૂ કર્યું જે પૂર્ણતાના આરે છે. આ રસ્તો નવો બનતા રહેવાસીઓને રાહત મળી છે પણ સાથે ટાગોર રોડની જેમ આ રોડ પણ અકસ્માત ઝોન ન બની જાય તેવા સવાલો પણ ઉભા થયા છે. ભૂકંપ બાદ જેત ગતિએ વિકસેલા આદિપુરના શિણાય વિસ્તારના લોકો માટે રાહતના સમાચાર છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આદિપુરના મુંદરા સર્કલથી શિણાય પોલીસ હેડ ક્વાર્ટર સુધીના 5 કિલોમીટરના રસ્તાનું રૂ.16 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે. વર્ષોથી વરસાદી પાણી અને ઉબડખાબડ રસ્તાની સમસ્યા ભોગવતા હજારો વાહનચાલકોને હવે સ્મૂધ ડ્રાઇવિંગનો અનુભવ મળશે,નાયબ કાર્યપાલક ઇજનેર પ્રવિણસિંહ મારવાડાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આ કામગીરીમાં ક્વોલિટી અને લેવલિંગ પર ખાસ ધ્યાન અપાયું છે, જરૂરિયાત મુજબ સીસી રોડ અને બાકીના ભાગમાં ડામર રોડ બનાવવામાં આવ્યો છે. ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે રસ્તાની સાઈડમાં ખાસ ડ્રેનેજ સિસ્ટમ વિકસાવવામાં આવી છે,રસ્તાનું લેવલિંગ એવી રીતે કરાયું છે કે જેથી વાહનોની અવરજવર સુગમ બને.નવો બનેલો રોડ વાહનચાલકો માટે આશીર્વાદરૂપ છે, પરંતુ ‘હિટ એન્ડ રન’ની ઘટનાઓ અટકાવવી એ મોટો પડકાર છે. ત્રણ રસ્તાઓ પાસે પોલીસ ચોકી જરૂરી બનીશિણાય તરફ જતા પહેલાં જ ત્રણ રસ્તા આવે છે જ્યાં 24 કલાક વાહન વ્યવહારનો ધમધમાટ રહે છે ત્યારે આવા ત્રણ રસ્તા પાસે સર્કલ બનાવી પોલીસની 24 કલાક હાજરી રહે તે માટે ચોકીનું નિર્માણ પણ અતિ જરૂરી છે. કારણ કે આ રસ્તા પર બેફામ ગતિને કારણે અવાર નવાર હિટ એન્ડ રનના બનાવો બની ચૂક્યા છે. 5 કિમી રોડમાં 25 કટ, અકસ્માતને આમંત્રણઆદિપુરના મુન્દ્રા સર્કલથી શિણાય પોલીસ હેડ ક્વાર્ટર સુધીના 5 કિમી રસ્તામાં 25 જગ્યાએ કટ આવેલા છે. દરેક સોસાયટીની આગળ, મંદિર, પેટ્રોલપમ્પ , હોટલોની સામે પણ કટ છે,વહેતો રસ્તો હોવાને કારણે કટમાંથી અવર જવર કરતી વેળાએ રસ્તા પર અનેક જગ્યાએ જોખમી કટ છે, જે અકસ્માતને નોતરે છે. ફક્ત જરૂરી કટ રાખી બાકીના બંધ કરવા જોઈએ. તુણા પોર્ટ ચાલુ થતા વાહનોની અવર-જવર વધશેઆદિપુર મુન્દ્રા સર્કલ થી શિણાય તરફ રસ્તા પર ગાંધીધામ થી મુન્દ્રા-માંડવી તરફની અવર જવર વધુ રહે છે , બીજું હવે ટુંક સમયમાં તુણા પોર્ટ શરૂ થશે જેના કારણે ભારે વાહનોની અવર જવર મોટા પ્રમાણમાં વધશે તે જોતા રોડની ગુણવત્તા એ મુજબની હશે તો ટકશે નહીંતર થોડા સમયમાં જ ફરી બિસ્માર રોડ જ લોકોના નસીબમાં રહેશે, વળી અનેક કટ તેમજ નવા રસ્તાને કારણે ગતિ મર્યાદા નહીં જળવાય તો ટાગોર રોડની જેમ આ રસ્તો પણ અકસ્માત ઝોન બની જશે એ પણ ચિંતાનો વિષય છે.
કચ્છમાં બોર્ડર-2 ના રિયલ હીરોની એન્ટ્રી:સની દેઓલે ‘રોડ ટુ હેવન' પર માણી લક્ઝરી સફર
ભારતની સરહદોનું શૌર્ય પડદા પર જીવંત કરનાર સુપરસ્ટાર સની દેઓલ હાલમાં સરહદી જિલ્લા કચ્છની મુલાકાતે છે. તાજેતરમાં જ તેમની ફિલ્મ 'બોર્ડર-2' રિલીઝ થઈ છે, જે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે ત્યારે ફિલ્મી પડદે સરહદ સાચવતા આ હીરોએ રિયલ લાઈફમાં કચ્છની સરહદની શાંતિ અને પ્રકૃતિના અદભૂત નજારાને માણ્યો હતો. સની પાજી ખાસ લક્ઝરી પોશે (Porsche) કાર લઈને કચ્છના પ્રવાસે પહોંચ્યા હતા. ધોળાવીરા નજીક આવેલા રોડ ટુ હેવન તરીકે જાણીતા માર્ગ પર જ્યારે સની દેઓલની મોંઘેરી કાર પસાર થઈ, ત્યારે જાણે કોઈ ફિલ્મનું દ્રશ્ય ભજવાઈ રહ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો. બંને બાજુ ફેલાયેલા સફેદ રણની વચ્ચેથી પસાર થતાં આ નયનરમ્ય માર્ગનો વીડિયો તેમણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સોમવારે રાત્રે મૂક્યો કર્યો હતો. દિગ્ગજ કલાકાર દ્વારા શેર કરાયેલા આ વીડિયોના કારણે કચ્છના પ્રવાસનને વૈશ્વિક સ્તરે એક નવું પ્લેટફોર્મ મળ્યું છે. કચ્છની ધરા પર જ્યારે બોલિવૂડના સ્ટાર્સ પોતાની લક્ઝરી ગાડીઓ લઈને ફરે છે, ત્યારે તે સાબિત કરે છે કે ગુજરાતનું પ્રવાસન હવે આંતરરાષ્ટ્રીય ઊંચાઈઓ સર કરી રહ્યું છે. કચ્છમાં હાલ પ્રવાસન સીઝન પૂર્ણતાના આરે છે, ત્યારે સની દેઓલની મુલાકાતથી સ્થાનિક હોટલ ઉદ્યોગ અને ગાઈડ્સમાં ભારે ઉત્સાહ છે. ‘રોડ ટુ હેવન’ હવે માત્ર રસ્તો નથી રહ્યો, પરંતુ સેલ્ફ-ડ્રાઈવિંગ અને હાઈ-એન્ડ ફોટોગ્રાફીના શોખીનો માટે એક પ્રમુખ ‘ડેસ્ટિનેશન’ બની ગયું છે. ઉલ્લેખનીય છે કે, સની દેઓલે જે કાર સાથે વીડિયો મૂક્યો તે કોઈ સામાન્ય કાર નથી. તે Porsche 911 Turbo 50 Years એડિશન છે. પોર્શે કંપનીએ ‘911 ટર્બો’ મોડલના 50 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી રૂપે આ ખાસ લિમિટેડ એડિશન લોન્ચ કરી છે, જેના વિશ્વભરમાં માત્ર 1974 યુનિટ જ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં 3.7 લીટર ટ્વિન ટર્બો એન્જિન છે આશરે 650 હોર્સ પાવર અને માત્ર 2.7 સેકન્ડમાં 0 થી 100 કિમીની ઝડપ ધરાવે છે.
ગંભીર અકસ્માત સર્જાયો:મખણા રોડ પર બાઈક સ્લીપ થતા વૃદ્ધનું મોત
તાલુકાના મખણા ગામના રોડ પર બાઈક સ્લીપ થઇ જતા ગંભીર ઈજાઓને કારણે 75 વર્ષીય વૃદ્ધનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે જ્યારે બળદિયા ગામના 69 વર્ષીય વૃદ્ધનું ખાટલા પરથી પડી ગયા બાદ મોત થયું હતું. ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ચોકીએથી મળેલી વિગતો મુજબ મખણા ગામના 75 વર્ષીય સવાભાઈ ખેતશીભાઈ રબારીનું અકસ્માતમાં મોત થયું હતું.બનાવ 5 ફ્રેબ્રુઆરીના સાંજે પાંચ વાગ્યાના અરસામાં બન્યો હતો. મખણા રોડ પર બાઈક સ્લીપ થઇ જતા હતભાગી વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી.જેથી પ્રથમ સારવાર માટે લેવા પટેલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે આયુષ હોસ્પિટલમાં લઇ જતા તેમનું મોત નીપજ્યું હતું. જ્યાંથી પીએમ માટે જી.કે.જનરલ લઇ જવામાં આવ્યા હતા.જ્યારે બીજી તરફ બળદિયા ગામના 69 વર્ષીય ગોપાલભાઈ લાલજીભાઈ પટેલનું અકસ્માતે મોત થયું હતું. બનાવ 8 ફ્રેબ્રુઆરીના રાત્રે દસ વાગ્યાના અરસામાં બન્યો હતો.હતભાગી પોતાના ઘરે હતા ત્યારે ખાટલા પરથી નીચે પડી ગયા હતા. બનાવ બાદ તેમને સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવને પગલે પોલીસે ઘટના સબંધિત ગુનો દાખલ કરવા સહીતની તજવીજ હાથ ધરી છે.
PGVCL એક્શન મોડમાં:ભચાઉમાં વિશેષ ઝુંબેશમાં 72 વીજ ગ્રાહકના જોડાણો કપાયા
પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની ભચાઉ પેટા વિભાગીય કચેરી દ્વારા શહેરમાં બાકી વીજ બિલની વસૂલાત અર્થે મેગા ડિસકનેક્શન ડ્રાઇવ યોજવામાં આવી હતી. જે દરમિયાન બિલ ચૂકવણા બાકી હોય તેવા 72 ગ્રાહકના વીજ જોડાણ કાપવામાં આવ્યા હતા. વિશેષ મુખ્ય ઇજનેર એ. એસ. ચૌધરી અને કાર્યપાલક ઈજનેર જે. આર. ચૌહાણના માર્ગદર્શન હેઠળ નાયબ ઈજનેર જે. ટી. ગોસ્વામી દ્વારા હાથ ધરાયેલી કામગીરીમાં 74 લાખની બાકી રકમની વસૂલાત હાથ ધરાઈ હતી. હવે આ ઝુંબેશનો વ્યાપ વધારીને તમામ ગામડાઓમાં પણ આ પ્રકારે ડિસકનેક્શન ડ્રાઇવ કરવામાં આવશે. હવે પછીની ઝુંબેશ 13 ફેબ્રુઆરીના યોજવામાં આવશે. બાકી લેણાં ધરાવતા તમામ ગ્રાહકોને પોતાનું બાકી વીજ બિલ તાત્કાલિક ઓનલાઇન માધ્યમથી અથવા પેટા વિભાગીય કચેરી ખાતે રૂબરૂ જઈને ભરી દેવા જણાવાયું હતું. વીજ જોડાણ કપાયા બાદ ફરીથી જોડાણ મેળવવા માટે ગ્રાહકે રિકનેક્શન ચાર્જ અને બાકી રકમ બંને ભરવા પડશે, અને વધુ માં રી- કનેક્શન કરતા પહેલા ઈ.કે-વાયસી કરાવવું ફરજિયાત છે.
તસ્કરોએ કર્યો હાથફેરો:બારોઇ રોડની સોસાયટીમાં બંધ મકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું
હાલ બંદરીય નગરી મુન્દ્રામાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ તાજેતરમાં નગરના પરા સમાન બારોઇ રોડ સ્થિત હિંગલાજ નગરના બંધ મકાનમાં 1.75 લાખની ચોરી બાદ હવે અન્ય સોસાયટીના બંધ મકાનને નિશાન બનાવ્યું હોવાના અહેવાલ સાંપડ્યા છે. બનાવ અંગે મળતી વિગત બારોઇ રોડ પર આવેલ કલાપૂર્ણ સોસાયટી સ્થિત મકાનના માલિક ગત 23/1 ના રોજ પોતાના વતન બિહારના દરભંગા ગયા હતા.ત્યારે અજાણ્યા તસ્કરે બંધ મકાનના ઘરના દરવાજાનું તાળું તોડી તેમાં પ્રવેશ કર્યો હતો.બાદમાં કબાટ માં પડેલ 25 હજાર રોકડ તેમજ સોનાની વીંટી,કાનના બુટિયાં તથા ચાંદીના ઝાંઝરનો હાથફેરો કર્યો હતો. બાદમાં વતન થી પરત ફરેલા વ્યક્તિએ ઘર ખોલતાં ચોરી થયાનું જણાઈ આવ્યું હતું.જોકે મોડી સાંજથી મુન્દ્રા પોલીસ મથકે બનાવ અંગેની વિધિવત ફરિયાદ નોંધાઈ નથી.ત્યારે સતત બંધ ઘરોમાં ચોરી થવાના બનાવો અંગે નગરનો પ્રબુદ્ધ વર્ગ દિવસ દરમ્યાન ચોક્કસ વિસ્તારોની આયોજનબદ્ધ રીતે રેકી કરાતી હોવાનો મત વ્યક્ત કરી શેરી મહોલ્લામાં ભંગાર કે કચરો વિણવા આવતા કે અન્ય કોઈ પણ બહાને કદમપેશી કરતા અજાણ્યા ઈસમોથી સતર્ક રહેવાનો અનુરોધ કર્યો હતો.
નિમણૂક:કચ્છ ભાજપ સંગઠનના હોદ્દેદારો વરાયા
કચ્છ જિલ્લા ભાજપ દ્વારા પ્રદેશ ભાજપ પ્રમુખ તથા મોવડી મંડળ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ કચ્છના હોદ્દેદારોની નિમણૂક કરાઇ હતી. જેમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મશરૂ રબારી, અશોક હાથી, મુળજી મ્યાત્રા, રેશ્માબેન ઝવેરી, પ્રફુલસિંહ જાડેજા, આશિકાબેન ભટ, સુરેશ વલ્લભજી સંઘાર અને વિકાસ મોહનલાલ રાજગોર, મહામંત્રી તરીકે ધવલ આચાર્ય, હિતેશ ખંડોર, ભીમજી જોધાણી, મંત્રી તરીકે પરેશ ભાનુશાલી, છાયાબેન ગઢવી, નયનાબેન પટેલ, ઉમેશ મુળજી સોની, રાજેશ પલણ, રૂપલબેન દેસાઇ, રસીલા બારી, કંચનબેન વાઘેલા, કોષાધ્યક્ષ સુરેશ ટાંક, કાર્યાલય મંત્રી હરેશ માવજી પટેલની નિમણૂક કરાઈ છે. તેમજ સોશિયલ મીડિયા વિભાગમાં પીયુષ જયંતિલાલ ભોજાણી, આઈ. ટી. વિભાગમાં ભૌમિક અરૂણ વચ્છરાજાની, મીડિયા વિભાગમાં સાત્વિકદાન મહેશદાન ગઢવી નિમાયા છે. જિલ્લા યુવા મોરચા પ્રમુખ તરીકે રામ ભીમશીભાઈ ગીલવા, મહામંત્રી ભાર્ગવ શશીકાંત શાહ અને રાહુલ સુરેન્દ્ર ગુંસાઈ, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ તરીકે પારૂલબેન રમેશભાઈ કારા, મહામંત્રી પારસબા કૃષ્ણસિંહ જાડેજા અને રચનાબેન પ્રણવ જોશી, કિસાન મોરચા પ્રમુખ તરીકે હિતેશ ડાયાલાલ પાંચાણી, મહામંત્રી રવિન્દ્ર મનજી ગામી, વિરમ રામજી આહીર, બક્ષીપંચ મોરચા પ્રમુખ હિતેશ જયેશભારથી ગોસ્વામી, મહામંત્રી ખેંગાર પબાભાઈ રબારી, બકુલ મયુર ઠાકોર, અનુસૂચિત જાતિ મોરચો પ્રમુખ રવિલાલ નારણ ગરવા, મહામંત્રી શામજી કરસન વાણીયા, પરસોતમ મગનલાલ મારવાડા, લઘુમતી મોરચામાં પ્રમુખ આકિબ દાઉદ બાયડ, મહામંત્રી મામદશા ઓસમાણ શેખ અને ઈમ્તિયાઝ ફકીર મામદ સોઢાની વરણી કરાઈ છે. સોશિયલ મીડિયામાં કથિત વિરોધ તે જળવાયા અને ગૃહમંત્રીના નજીકી એવા બાકાત રહ્યાકચ્છ ભાજપ દ્વારા વિવિધ સંગઠનોના હોદ્દેદારો જાહેર કરાયા, જેનામાં મોટા ભાગના જાણીતા જ નામો છે. આ વચ્ચે હાલે, જાહેર નામોમાં એક સક્ષમ હોદ્દેદાર વિરુદ્ધ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર એક જાતિ પ્રત્યે કનડગતની ભાવના રાખી હોવાના આક્ષેપ કરાયા હતા અને તેમના બહિષ્કાર સુધીના સંદેશા વહેતા કરાયા હતા. તેમણે પોતાનો સ્થાન જાળવી રાખ્યું છે. યુવા મોરચાથી હાલના ગૃહમંત્રી સાથે જોડાયેલા અને નજીકના મિત્ર એવા હોદ્દેદાર બાકાત છે. સંગઠનમાં ખૂબ મજબૂત અને પ્રબળ એવા હોદ્દેદારની બાકાતી હાલ પૂરતી તો આશ્ચર્યજનક છે પણ આગામી સમયમાં જરૂર અલગ સમીકરણ જોવા મળી શકે છે. જિલ્લા યુવા મોરચાના પ્રમુખ અને મહામંત્રી કચ્છ યુનિ. શાહી કાંડના મુખ્ય સૂત્રધારભૂતકાળમાં પ્રાધ્યાપકનું મોઢું કાળું કરવાનું દુઃસાહસ દર્શાવી ચૂકેલા એબીવીપીના કાર્યકર્તાઓને જિલ્લા ભાજપે વિશેષ હોદ્દાઓ આપ્યા છે. કહેવાતી શિસ્ત અને આદર્શોને સમર્પિત પાર્ટીના યુવા મોરચાના જિલ્લાના પ્રમુખ અને મહામંત્રી તરીકે જ તેમની નિમણૂક કરાઈ છે. વર્ષ 2018માં એબીવીપીના કાર્યકરો દ્વારા કચ્છ યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં સેનેટ ચૂંટણીમાં આક્ષેપો કરાયા સાથે સૂત્રોચાર કર્યા હતા. જેમાં એબીવીપીના કાર્યકરો રામ ગઢવી અને ભાર્ગવ શાહ દ્વારા ચૂંટણી અધિકારી અને કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસર ડો. ગીરીન બક્ષી પર હુમલો કરી પદાર્થ છાંટીને મોઢું કાળું કર્યું હતું. શામજી કરસન વાણીયા, પરસોતમ મગનલાલ મારવાડા, લઘુમતી મોરચામાં પ્રમુખ આકિબ દાઉદ બાયડ, મહામંત્રી મામદશા ઓસમાણ શેખ અને ઈમ્તિયાઝ ફકીર મામદ સોઢાની વરણી કરાઈ છે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
નવસારી શહેરની નજીક આવેલું કબીલપોર નામનું એક ગામ જાન્યુઆરી 2015માં અચાનક જ ચર્ચામાં આવ્યું. 13 જાન્યુઆરીની સાંજ કંઈક અમંગળ સંકેતો લઈને આવી હતી. આકાશમાં સૂરજ આથમવાની તૈયારીમાં હતો અને ઉત્તરાયણ પૂર્વેની હલચલ હતી. પણ ધર્મેશભાઈ સલાટના ઘરે એક વિચિત્ર સન્નાટો પ્રસરેલો હતો. લગ્ન એ બે વ્યક્તિઓ વચ્ચેનો એવો રથ છે જે વિશ્વાસના પૈડાં પર ચાલે છે. પણ જ્યારે એ પૈડાં તૂટે, ત્યારે સર્જાય છે એક એવી ખાઈ, જેમાં ક્યારેક નિર્દોષ લોકો હોમાઈ જાય છે. ધર્મેશભાઈના બીજા લગ્ન પછીનો આ સંસાર માંડ પાટા પર ચડ્યો હતો, ત્યાં જ કુદરતે ક્રૂર વળાંક લીધો. ગુજરાત ક્રાઇમ ફાઇલ્સમાં વાત આજે એવા એક ક્રૂર હત્યાકાંડની, જેમાં વેરઝેરની ભાવનાનો માસૂમ ભોગ બની અને સંવાદનાના તમામ સીમાડા વટાવી દેવામાં આવ્યા હતા. “ગીતા… સંજના ક્યાં છે? ક્યારની દેખાતી નથી... ધર્મેશભાઈએ ફળિયામાં નજર દોડાવતા પૂછ્યું. ગીતાબેનના ચહેરા પર ચિંતા ઉભરી આવી. પાંચ વર્ષની માસૂમ સંજના ક્યારેય કહ્યા વગર ક્યાંય જતી નહોતી. સાંજનો સમય થવા આવ્યો હતો, અંધારું ધીમે-ધીમે વધતું જઈ રહ્યું હતું. પતિએ સવાલ કરતા હવે ગીતાબેનને પણ ચિંતા થઈ. તેઓ ઘરમાંથી ફટાફટ બહાર નીકળ્યા. સામે જ તેમના સગાભાઈ અર્જુન દેખાયા. ચલતા-ચાલતા તેઓ બહેનના ઘર તરફ જ આવી રહ્યા હતા. ભાઈ… તેં સંજનાને ક્યાંય જોઈ? સાંજ રમવા ગઈ પણ એ હજી ઘરે નથી આવી, આટલું બોલતા તો ગીતાબેનનું ગળું જાણે સુકાવવા લાગ્યું. મામા અર્જુનભાઈએ આજુબાજુ નજર કરી અને નકારમાં માથું ધુણાવ્યું, ના ગીતા, મેં તો એને બપોર પછી જોઈ જ નથી. ક્યાં ગઈ હશે આ છોકરી? દીકરીની ચિંતા હવે ડરમાં બદલાઈ રહી હતી. થોડી જ વારમાં વાત ફેલાઈ ગઈ કે ધર્મેશભાઈની દીકરી ગુમ થઈ ગઈ છે. ક્યારનીય મળતી નથી. આખું કુટુંબ કબીલપોરના અલગ-અલગ વિસ્તારોમાં ફરી વળ્યું. ગલીઓ, પરિચિતોના ઘર, મંદિરનો ચોરો... બધું જ તપાસ્યું, પણ સંજનાનો ક્યાંય પત્તો નહોતો. શોધખોળ દરમિયાન અર્જુનભાઈની નજર ઘરની નજીક આવેલા એક અવાવરું વાડા તરફ ગઈ. ત્યાં ઝાંખા અજવાળામાં કોઈ આકૃતિ જેવું દેખાયું. તેઓ દોડતા ત્યાં પહોંચ્યા અને જે જોયું એ જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. ઓ બાપ રે… આ શું... અર્જુનભાઈના ગળામાંથી ચીસ નીકળી ગઈ. ત્યાં જમીન પર લોહીના રેલો જોવા મળ્યો અને નજીકમાં જ પાંચ વર્ષની સંજના જીવન-મોત વચ્ચે ઝોલા ખાઈ રહી હતી. દૃશ્ય એટલું ભયાનક હતું કે કોઈ પથ્થર દિલના માણસનું કાળજું પણ કંપી જાય. માસૂમ બાળકીના ગળા પર ઊંડો ઘા હતો અને તેના પેટના ભાગે કોઈએ ક્રૂરતાપૂર્વક છેદ કર્યો હતો, આંતરડા બહાર નીકળી આવ્યા હતા. લોહી હજી તાજું હતું. પરંતુ સંજના બોલી શકવાની સ્થિતિમાં ન હતી. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે આ એ જ જગ્યા હતી જ્યાં થોડીવાર પહેલાં જ્યોત્સના નાનની મહિલા બેઠેલી જોવા મળી હતી. અર્જુનભાઈએ તરત જ બૂમ પાડી, ગીતા… મમ્મી… જલ્દી અહીં આવો... જુઓ સંજનાને શું થયું છે. પરિવારમાં આક્રંદ મચી ગયો. લોહીથી લથપથ સંજનાને ઉચકી અને તાત્કાલિક રિક્ષામાં મૂકવામાં આવી. સંજના આંખો ખોલી રહી ન હતી. પરિવારના લોકો હાંફળા-ફાંફળા થઈને નજીકમાં આવેલી મુલ્લાજીની હોસ્પિટલે પહોંચ્યા. ડોક્ટરે દીકરીની પ્રાથમિક સારવાર કરી પણ તેમનો અંદાજો આવી ગયો કે વધારે સમય અહીં રાખી શકાય એમ નથી. એટલે પરિવારને સલાહ આપી કે સંજનાને તરત જ નવસારી સિવિલ હોસ્પિટલ રિફર કરો. રાત પડતા સુધીમાં સંજનાને નવસારીની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી. પરંતુ અહીંયાંથી પણ સારા સમાચાર ન મળ્યા. સંજનાની હાલત મિનિટે-મિનિટે બગડતી જતી હતી. એટલે નવસારીથી વધુ સારવાર માટે તેને રાત્રે જ સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી. ઢળતી સાંજે સંજના સાથે કંઈક અજૂગતું બની ગયું હતું. તે કલાકો સુધી મોતને હાથ તાળી આપતી રહી. ત્રણ-ત્રણ હોસ્પિટલના ડોક્ટરોએ સંજનાનો જીવ બચાવવા માટે બરાબર મહેનત કરી. પરંતુ, કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. જે માસૂમ અત્યાર સુધી રમતી-કૂદતી હતી, તે સારવાર દરમિયાન જિંદગીની જંગ હારી ગઈ. અત્યાર સુધી પરિવારના લોકો દોડધામમાં હતા. પણ બાળકીના મોતના થોડા કલાકો બાદ સુરતની સિવિલ હોસ્પિટલના કોરિડોરમાં સન્નાટો હતો. હવે પરિવારના લોકોના મનમાં સવાલોનો વંટોળ ઉઠ્યો. એક પાંચ વર્ષની બાળકી સાથે આવી હેવાનીયત કોણ કરી શકે? શું આ કોઈ જૂની અદાવત હતી? કે પછી અણબનાવનું કોઈ કારણ હતું? સુરત સિવિલ હોસ્પિટલના શબઘરની બહાર ધર્મેશભાઈ જાણે કે પથ્થરની મૂર્તિ બનીને બેઠાં હતા. હજુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આવ્યો ન હતો. એટલે મોત પાછળનું ચોક્કર કારણ જાણવા નહોતું મળ્યું. પરિવાર અને પોલીસના મનમાં ઘણા પ્રશ્નો હતા. નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ચૂકી હતી. તપાસનો દોર શરૂ થયો હતો પણ આ કોઈ સામાન્ય ગુનો નહોતો. આ કેસમાં એક માસૂમની નિર્મમ હત્યા હતી. પોલીસ ઇન્સ્પેક્ટરે ડાયરી ખોલી અર્જુનભાઈની પૂછપરછ શરૂ કરી. અર્જુનભાઈ એટલે મૃતક બાળકીના મામા, તેમણે જ સૌથી પહેલાં સંજનાને લોહીલુહાણ હાલતમાં જોઈ હતી. અર્જુનભાઈની આંખો સામે હજુ પણ 13 જાન્યુઆરીની એ સાંજ તરવરતી હતી. અર્જુનભાઈએ ધ્રૂજતા અવાજે નિવેદન આપવાનું શરૂ કર્યું. સાહેબ, એ દિવસે હું દેના બેંકની પાછળ હરી પાર્ક સોસાયટીની સામેના મેદાનમાં પતંગ ચગાવતો હતો. ઉત્તરાયણનો માહોલ હતો, મારી જેમ ઘણા બધા લોકો પતંગો ચગાવતા હતા. સાંજના છ વાગ્યા આસપાસ પતંગ ઉડાડતા-ઉડાડતા મારું ધ્યાન કંઈક અજૂગતી ઘટના પર ગયું. મેદાનની એક બાજુ આવેલા ઝાડી-ઝાંખરાવાળા વાડામાંથી મને કોઈના રડવાનો અવાજ આવ્યો. એ અવાજ કોઈ બાળકીનો હતો. પોલીસે સવાલ કર્યો, અવાજ આવતો હતો ત્યાં કોઈને જોયા હતા? તું ત્યાં કેમ ન ગયો? અર્જુને નિસાસો નાખ્યો, હા સાહેબ… મેં દૂરથી જોયું તો ત્યાં જ્યોત્સના બેઠેલી હતી. એ જગ્યા સાવ ખુલ્લી ન હતી. મને એમ લાગ્યું કે એ કદાચ શૌચક્રિયા માટે બેઠી હશે, એટલે મર્યાદા ખાતર હું ત્યાં ન ગયો. થોડીવારમાં મારો પતંગ કપાઈ ગયો અને હું મારી બેનના ઘરે પહોંચ્યો ત્યારે જાણવા મળ્યું કે ભાણી ગુમ છે. ઘરે પહોંચતા જ બહેન ગીતાના આક્રંદે અર્જુનને હચમચાવી દીધો. સંજના ગુમ હતી. આખું ફળિયું ખૂંદી વળ્યા પણ સંજના મળી હતી. આ સમયે અચાનક અર્જુનના મગજમાં પેલી બાળકીનો રડવાનો અવાજ ઝબક્યો. સાહેબ, મને બાળકી રડતી હતી એ ઘટના યાદ આવી. મનમાં ફાળ પડી કે કંઈક ખોટું થઈ રહ્યું છે. હું દોડતો એ વાડામાં ઝાડીઓ પાસે પહોંચ્યો અને... અર્જુનના ગળે ડૂમો ભરાઈ ગયો. તે આગળ એક શબ્દ પણ બોલી ન શક્યો. પોલીસની તપાસ હવે જ્યોત્સના રાઠોડ નામની મહિલા પર કેન્દ્રિત થઈ હતી. એ કોણ હતી? એ માસૂમ બાળકી સાથે ત્યાં શું કરી રહી હતી? તપાસ દરમિયાન પોલીસને વધુ એક મહત્વની કડી મળી. સ્થાનિક રણજીતભાઈ સલાટે પોલીસ સમક્ષ એક ભયાનક ખુલાસો કર્યો. સાહેબ, મેં જ્યોત્સનાને જોઈ હતી. રણજીતે હાંફતા-હાંફતા કહ્યું. ક્યાં? અને કઈ હાલતમાં? પોલીસે પૂછ્યું. રણજીતે આંગળી ચીંધીને જણાવ્યું, સાંજે જ્યારે મહોલ્લામાં દોડધામ ચાલતી હતી, ત્યારે જ્યોત્સના કબ્રસ્તાનના દરવાજામાંથી ઉતાવળી ચાલે બહાર નીકળી રહી હતી. સૌથી ડરામણી વાત એ હતી સાહેબ કે તેના કપડાં લોહીથી ખરડાયેલા હતા. પોલીસને અત્યાર સુધીમાં બે લોકોના નિવેદન મળી ચૂક્યા હતા અને બન્નેમાં એક જ નામ આવતું હતું, જ્યોત્સના રાઠોડ. જે તે સમયે ગામમાં એક અલગ જ પ્રકારનો અજંપો હતો. ખૂબ ઓછા લોકો આ કેસ વિશે વાત કરવા માગતા હતા. કોઈ ખુલીને બોલવા માટે તૈયાર ન હતું. એટલે જ જ્યારે બે લોકોએ પોલીસ સમક્ષ એક જ મહિલાનું નામ લીધું તો તપાસ અધિકારીઓએ પણ આ વાતના તમામ પાસા ચકાસ્યા. પોલીસને વાડામાંથી લોહીથી ખરડાયેલો ટ્યુબલાઈટનો ટુકડો મળ્યો હતો. એ કાચ પર હજી પણ માસૂમ સંજનાના લોહીના અંશ હતા. હવે પોલીસના મનમાં ઉઠેલા સવાલનો જવાબ માત્ર એક જ વ્યક્તિ એટલે કે જ્યોત્સના રાઠોડ જ આપી શકે એમ હતી. જ્યોત્સના કોણ છે અને આ કેસમાં તેનું નામ આવવા પાછળના કારણો શું છે? આ મહિલા ક્યાં જતી રહી? વાંચો આવતીકાલે ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના બીજા અને અંતિમ એપિસોડમાં મોટા ઘટસ્ફોટ.
મુંદ્રા અદાણી પોર્ટને જોડતો સૌથી મહત્વનો મુંદ્રા-ભુજ રાજ્ય ધોરી માર્ગ કોમર્શિયલ વાહનો માટે બંધ કરી દેવાતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બ્રિજ નબળો હોવાનું કારણ ધરીને લાદવામાં આવેલા આ પ્રતિબંધને પગલે હજારો ટ્રકોએ 40 કિલોમીટરનો લાંબો ફેરો ખાવો પડે છે. આ મામલે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સે માર્ગ અને મકાન વિભાગના સચિવ પી.આર. પટેલીયાને ઉગ્ર રજૂઆત કરી માર્ગ તાત્કાલિક ખુલ્લો કરવા માંગ કરી છે. ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ તેજા કાનગડે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના ‘લોજિસ્ટિક ખર્ચ ઘટાડો’ના લક્ષ્ય સામે આ નિર્ણય વિરોધાભાસી છે. પ્રતિબંધને કારણે દરેક ટ્રકને 35 થી 40 કિમી વધારાનું અંતર કાપવું પડે છે.એક ટ્રક દીઠ રૂ. 2500 થી 3000 નો વધારાનો ખર્ચ થાય છે.ઇંધણનો બગાડ અને માનવશક્તિનો વ્યય થઈ રહ્યો છે.શિપિંગ લાઇન્સના ડેમરેજ અને ડિટેન્શન ચાર્જમાં વધારો થયો છે. ગાંધીધામ ચેમ્બરના માનદ્દ મંત્રી મહેશ તિર્થાણીએ જણાવ્યું કે, “મુંદ્રા પોર્ટ દેશના વિદેશ વેપારનું હૃદય છે. જો રિપેરિંગના કારણો હોય તો સમયબદ્ધ મેનેજમેન્ટ સાથે વૈકલ્પિક લેન શરૂ કરવી જોઈએ. આ માર્ગને ‘અતિ આવશ્યક લોજિસ્ટિક કોરિડોર’ જાહેર કરવો અનિવાર્ય છે. શિપિંગ કમિટીના સભ્ય નરેન્દ્ર રામાણીએ ઉમેર્યું કે, અન્ય માર્ગો પર ટ્રાફિક ડાયવર્ટ થવાને કારણે ભીડ વધી છે, જેનાથી અકસ્માતની શક્યતા વધી ગઈ છે. નાના ટ્રાન્સપોર્ટ ઓપરેટરોની નફાકારકતા તળિયે પહોંચી ગઈ છે, જેની સીધી અસર રાષ્ટ્રીય આવક પર પડી શકે છે. ચેમ્બરની મુખ્ય 3 માંગણીઓ
હાજીપીરથી દેશલપર સુધીના માર્ગના નવીનીકરણના કારણે મીઠા (નમક)નું પરિવહન કરતા ભારે વાહનોને ઝારા, લાખાપર અને ઘડુલી માર્ગે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જોકે, તંત્રનો આ નિર્ણય હવે સ્થાનિક ગ્રામજનો માટે મુસીબત સમાન સાબિત થયો છે. સોમવારે ઝારા, ખટીયા અને ઘડુલી સહિતના ગામોના 100થી વધુ લોકોએ જિલ્લા કલેકટર કચેરીએ ઘસી જઈ આ રસ્તે ભારે વાહનોની અવરજવર તાત્કાલિક બંધ કરાવવા અને જાહેરનામું રદ કરવા ઉગ્ર રજૂઆત કરી હતી. આગેવાનો હુસેન રાયમા, જસુભા જાડેજા, નિતીન પટેલ, મોડ જાફર સુમરા અને રિઝવાન સુમરાએ કલેક્ટરને આવેદન આપતા જણાવ્યું હતું કે, વૈકલ્પિક તરીકે પસંદ કરાયેલો માર્ગ પંચાયત હસ્તકનો સિંગલ પટ્ટી રોડ છે. અહીં ડુંગરાળ વિસ્તારના કારણે ઊંચા ચઢાણો આવેલા છે, જે ચડવામાં નિષ્ફળ જતા ભારે ટ્રેલરોને કારણે રોજબરોજ અકસ્માતો સર્જાય છે. વળી, આ માર્ગ લાખાપર ગામની વચ્ચેથી પસાર થતો હોવાથી શાળાએ જતા નાના ભૂલકાઓનો જીવ તાળવે ચોંટેલો રહે છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, નમકના ટ્રેલરોમાંથી ઉડતી ખારાશયુક્ત ધૂળને કારણે ખેતરોમાં ઉભો પાક બળી રહ્યો છે. આ રસ્તાની લોડિંગ ક્ષમતા માત્ર 10 ટન છે, જ્યારે અહીંથી ઓવરલોડ વાહનો પસાર થઈ રહ્યા છે. તંત્રની મધ્યસ્થીઅગાઉ શુક્રવારે ગ્રામજનોએ મામલતદાર કચેરીએ ધરણાં અને શનિવારે લાખાપરમાં ચક્કાજામ કર્યો હતો. પોલીસ અને કંપનીના અધિકારીઓ સાથેની બેઠકમાં સોમવારે 11 વાગ્યા સુધી વાહનો બંધ રાખવાની બાંહેધરી અપાઈ હતી. જોકે, સોમવારથી પુનઃ ટ્રાફિક શરૂ થતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.
માર્ગ અકસ્માત સર્જાયો:લાખાપર - ઝારા હાઇવે માર્ગ પર કાર પલટી મારી ઉંધી વળી ગઈ
લખપત તાલુકાના લાખાપરથી અંદાજે દોઢ બે કિલોમીટરના અંતરે ઝારા તરફ જતા હાઇવે માર્ગ પર સોમવારે સવારે બનેલ માર્ગ અકસ્માતના બનાવવામાં કાર પલટી મારી ઉંધી વળી ગઈ હતી. જોકે કારમાં સવાર લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો. લોકોના જણાવ્યા મુજબ સોમવારે સવારના સમયે બનેલા માર્ગ અકસ્માતના બનાવવામાં મહારાષ્ટ્ર પાર્સિંગની પ્રવાસીઓની કાર ઝારાથી લાખાપર તરફ જઈ રહી હતી. ત્યારે આ માર્ગ પર આવેલ ઉચાણ વાળો ઢાળ ચડતી વખતે અચાનક કાર બંધ થઈ ત્યારબાદ રિવર્સમાં જઈ રહેલી કારના ચાલ કે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી મારી ઊંધી વળી ગઈ હતી.
લોકાર્પણ:નખત્રાણામાં ઘરે-ઘરેથી કચરો ઉપાડાશે 26.50 લાખના ખર્ચે ટ્રેક્ટરોનું લોકાર્પણ
ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનને વધુ અસરકારક બનાવવા અને ગામડાઓને ગંદકીમુક્ત કરવાના ઉદ્દેશ્ય સાથે નખત્રાણા તાલુકા પંચાયત દ્વારા મહત્વની પહેલ કરવામાં આવી છે. તાલુકાના પાંચ ગામોમાં ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન માટે રૂ. 26.50 લાખના ખર્ચે પાંચ નવા ટ્રેક્ટરોનું વિતરણ કરવામાં આવ્યું હતું. નખત્રાણા તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલા એક સાદા સમારોહમાં એટીવીટી યોજના અંતર્ગત 15મા નાણાપંચની ગ્રાન્ટમાંથી આ ટ્રેક્ટરો ફાળવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન પટેલ અને તાલુકા વિકાસ અધિકારી દીક્ષિતભાઈ ઠક્કરના હસ્તે પાંચેય ગામના સરપંચોને ટ્રેક્ટરની ચાવી અર્પણ કરવામાં આવી હતી. લાભાર્થી ગામોમાં ઉગેડી, કોટડા (રોહા), પલીવાડ, કલ્યાણપર અને મથલનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ સરકારની આ કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, ગામડાઓ સ્વચ્છ અને સુંદર બને તે માટે આધુનિક સાધનો ખૂબ જરૂરી છે. તેમણે તમામ સરપંચોને આ સાધનોનો મહત્તમ ઉપયોગ કરી ગ્રામજનોને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો હતો. આ પહેલથી હવે ગામડાઓમાં કચરાના નિકાલની સમસ્યા હળવી થશે અને પર્યાવરણ સુધરશે. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય નયનાબેન પટેલ, જયસુખભાઈ પટેલ, એટીવીટીના દિલીપ નરસિંગાણી, કારોબારી ચેરમેન ઉત્પલસિંહ જાડેજા, દિનેશ વાઘેલા, મનીષ મહેશ્વરી, હોતખાન મુતવા, હીરાસિંહ જાડેજા, કરણભાઈ રબારી, ધનગૌરીબેન ગોસાઈ, હુસેન ખલીફા, જયાબેન પટેલ, પાર્વતીબેન પટેલ, લાલજીભાઈ રામાણી સહિત પાંચેય ગામના સરપંચો, ઉપસરપંચો અને તલાટીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ભાસ્કર એક્સક્લુસિવ:ટેટ-1 પાસ કરી છતાં કાયમી ભરતીથી વંચિત રહેવાનો ભય
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા ટેટ 1 પરીક્ષાના પરિણામમાં અનેક તેજસ્વી તાલીમાર્થીઓએ મેદાન માર્યું છે, પરંતુ ઉમેદવારો અત્યારે એક વિચિત્ર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જે તાલીમાર્થીઓ હાલ ડી.એલ.એડ. એટલે કે પી.ટી.સી.ના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે, તેમણે મહેનત કરીને ટેટ-1ની પરીક્ષા તો પાસ કરી લીધી છે, પરંતુ જો સરકાર અત્યારે જ કાયમી ભરતી પ્રક્રિયા શરૂ કરે તો તેઓ લાયક હોવા છતાં ઉમેદવારી નોંધાવી શકશે નહીં. આ સ્થિતિને પગલે કચ્છના શિક્ષિત બેરોજગારોમાં ચિંતા જોવા મળી રહી છે. શિક્ષક ભરતીના નિયમો મુજબ માત્ર ટેટ પરીક્ષા પાસ કરવી પૂરતી નથી, પરંતુ મેરિટની ગણતરીમાં એકેડેમિક ગુણ એટલે કે પી.ટી.સી.ના માર્કસ પણ મહત્વનો ભાગ ભજવે છે. હાલમાં પી.ટી.સી. દ્વિતીય વર્ષના તાલીમાર્થીઓની વાર્ષિક પરીક્ષા એપ્રિલમાં લેવાનાર છે અને પરિણામ મે અથવા જૂન માસમાં આવવાની સંભાવના છે. જો શિક્ષણ વિભાગ અત્યારે જ કાયમી ભરતી માટેના ફોર્મ મંગાવે, તો આ ઉમેદવારો પાસે અંતિમ વર્ષની માર્કશીટ ન હોવાથી તેઓ ભરતીની રેસમાંથી બહાર ફેંકાઈ જશે. કચ્છ જેવા જિલ્લામાં જ્યાં રોજગારીની તકો માટે યુવાનો રાત-દિવસ એક કરતા હોય છે, ત્યાં લાયકાત હોવા છતાં તક છીનવાઈ જવાની ભીતિ છે. તાલીમાર્થીઓ અને શિક્ષણ જગતના જાણકારો એવી રજૂઆત કરી રહ્યા છે કે, રાજ્ય સરકાર માનવીય અભિગમ અપનાવીને ડી.એલ.એડ.નું પરિણામ જાહેર થયા બાદ જ કાયમી ભરતી પ્રક્રિયા હાથ ધરે. અત્યારે જિલ્લાની શાળાઓમાં શિક્ષકોની અછત છે, જેના ઉકેલ તરીકે હંગામી ભરતી અથવા કરાર આધારિત જ્ઞાન સહાયકોની નિમણૂક કરવી જોઈએ. આમ કરવાથી શાળાઓમાં બાળકોનું શિક્ષણ નહીં બગડે અને પી.ટી.સી. પૂર્ણ કરનાર નવા ઉમેદવારોને કાયમી ભરતીમાં સમાન તક મળી રહેશે. તેજસ્વી તાલીમાર્થીઓ પર અન્યાયની તલવારગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તાજેતરમાં લેવાયેલી ટેટ-1 ની પરીક્ષામાં કચ્છ સહિત રાજ્યના અનેક તેજસ્વી તારલાઓએ સફળતા મેળવી છે, પરંતુ આ સફળતા મેળવ્યા બાદ હવે લાયકાતના પ્રમાણપત્ર મુદ્દે ઉમેદવારો ચિંતામાં મૂકાયા છે. રાજ્ય સરકારના સુધારેલા જાહેરનામા મુજબ તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટેટની પરીક્ષામાં બેસવાની મંજૂરી અપાઈ હતી, જેના કારણે પીટીસી કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પરીક્ષા આપી પણ હવે પ્રશ્ન એ ઊભો થયો છે કે આ ઉમેદવારોની પીટીસીની અંતિમ વર્ષની પરીક્ષા આગામી એપ્રિલ મહિનામાં યોજાવાની છે અને તેનું પરિણામ મે અથવા જૂન માસમાં જાહેર થશે. જો આ સમયગાળા દરમિયાન રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની કાયમી ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવે, તો મેરિટમાં સ્થાન ધરાવતા હોવા છતાં આ ઉમેદવારો પાસે ડિગ્રીનું મૂળ પ્રમાણપત્ર ન હોવાને કારણે તેઓ ભરતી પ્રક્રિયામાંથી વંચિત રહી શકે છે.ઉમેદવારોએ જણાવ્યું છે કે, જો સરકાર અત્યારે ભરતી કરવા માંગતી હોય તો ભલે હંગામી ધોરણે પ્રક્રિયા કરે, પરંતુ કાયમી ભરતીની કાર્યવાહી પીટીસીનું પરિણામ જાહેર થયા બાદ જ હાથ ધરવી જોઈએ.
26મીથી બોર્ડ પરીક્ષાનો પ્રારંભ:166 દિવ્યાંગ વિદ્યાર્થી પણ આપશે કસોટી
કચ્છ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે આગામી 26 ફેબ્રુઆરીનો દિવસ ખૂબ જ મહત્વનો બની રહેશે કારણ કે આ દિવસથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. સમગ્ર રાજ્યમાં નોંધાયેલા ધો.10ના કુલ 9,07,175 વિદ્યાર્થીઓ પૈકી કચ્છ જિલ્લો આશરે 3 ટકા જેટલું પ્રતિનિધિત્વ ધરાવે છે. કચ્છમાં ધોરણ 10ની વાત કરીએ તો કુલ 27,305 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસશે, જેમાં 14,941 વિદ્યાર્થીઓ અને 12,364 વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. આ આંકડામાં 21,110 રેગ્યુલર વિદ્યાર્થીઓ છે, જ્યારે 2188 બાહ્ય વિદ્યાર્થીઓ છે જેઓ સીધી રીતે પરીક્ષા આપી રહ્યા છે. આ ઉપરાંત 914 આઇસોલેટેડ અને 2343 રિપીટર ઉમેદવારો પણ મેદાનમાં છે. ખાસ કરીને 161 દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા રેમ્પ, વ્હીલચેર, અલાયદો રૂમ અને લહિયા જેવી વિશેષ સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કચ્છ જિલ્લાના કુલ 15,420 વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ સંખ્યામાં 11,603 રેગ્યુલર વિદ્યાર્થીઓની સાથે 2738 બાહ્ય અને 310 રિપીટર ઉમેદવારોનો સમાવેશ થાય છે. વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો જિલ્લામાં કુલ 1567 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં બી ગ્રુપના 869 અને એ ગ્રુપના 566 વિદ્યાર્થીઓ મુખ્ય છે, જ્યારે 6 વિદ્યાર્થીઓ એવા છે જેઓ એ અને બી બંને ગ્રુપની પરીક્ષા આપશે. સંસ્કૃત વિષયમાં પણ આ વર્ષે વિદ્યાર્થીઓએ ઉત્સાહ દાખવ્યો છે, જેમાં પ્રથમ ભાષામાં 42 અને મધ્યમામાં 45 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે. જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાના સુચારુ સંચાલન માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
સગીરે કર્યો આપઘાત:હંગામી આવાસની મિલમાં બેહોશ મળેલા સગીરનું મોત
શહેરના જીઆઈડીસી વિસ્તારમાં હંગામી આવાસમાં આવેલા શિવાલય મિલમાં 17 વર્ષીય સગીર બેભાન મળી આવ્યા બાદ તેનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. જ્યારે શહેરની નજીકમાં આવેલા માધાપરમાં રહેતા 35 વર્ષીય યુવાને કોઈ કારણોસર ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ચોકીએથી મળેલી વિગતો મુજબ 17 વર્ષીય જીતેશ રામજી કોલી બેભાન હાલતમાં મળી આવ્યો હતો. બનાવ સોમવારે આઠ વાગ્યાના અરસામાં બન્યો હતો.હંગામી આવાસ વિસ્તારમાં આવેલ શિવાલય મિલમાં બેભાન હાલતમાં દેખાયો હતો.જેથી તાત્કાલિક તેને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.બનાવને પગલે ભુજ શહેર બી ડીવીઝન પોલીસે ઘટના સબંધિત ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ માધાપર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ 35 વર્ષીય પ્રેમજીભાઈ નારણભાઈ મહેશ્વરીએ આત્મઘાતી પગલું ભરી લીધું હતું.બનાવ 8 ફ્રેબ્રુઆરીના દસ વાગ્યાથી અગિયાર વાગ્યાના અરસામાં બન્યો હતો.હતભાગી યુવાને કોઈ કારણોસર પોતાના ઘરે રૂમનો દરવાજો બંધ કરી બારીના પડદાથી ફાંસો ખાઈ લીધો હતો. બનાવ બાદ તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.હાલ સમગ્ર મામલે માધાપર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી બનાવ સબંધિત વધુ તપાસ હાથ ધરી છે.
ઠગાઈનો મામલો આવ્યો સામે:ટ્રાન્સપોર્ટના વ્યવસાયકાર પાસેથી દંપતીએ 17.34 લાખ લીધા બાદ 13 લાખની ઠગાઈ
શહેરમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા વેપારી પાસેથી મિત્રતાના નાતે દંપતીએ રોકડ,બે કાર અને મોબાઈલ સહીત કુલ રૂપિયા 17.34 લાખનો મુદ્દામાલ મેળવી લીધા બાદ 4.32 લાખ પર આપી રૂપિયા 13 લાખની ઠગાઈ આચરી હતી.આરોપીએ રૂપિયા 10 લાખના ચેકમાં ખોટી સહી કરેલો ચેક પધરાવી દીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ન્યુ રાવલવાડી રીલોકેશન સાઈટ પર ટોપહીલ સોસાયટીમાં રહેતા ફરિયાદી પ્રશાંત નટવરદાન ગઢવીએ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે મુન્દ્રા રોડ પર સ્વામીનારાયણ નગરમાં રહેતા આરોપી નરેશ ખીમજી ભાનુશાલી અને મોનાલી નરેશ ભાનુશાલી સામે ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ જાન્યુઆરી થી એપ્રિલ 2025 સુધીના સમયગાળા દરમિયાન બન્યો હતો.આરોપીએ મિત્રતાના નાતે ધંધા માટે ઉછીના રૂપિયા માંગતા ફરિયાદીએ રોકડ રૂપિયા 1.98 લાખ આપ્યા હતા. તેમજ ટાટા કંપનીની રૂપિયા 5.90 લાખની ટીયાગો કાર નંબર જીજે 12 એફઈ 2625 તથા રેનોલ્ટ કંપનીની રૂપિયા 5 લાખની કાઈગર કાર નંબર જીજે 12 ઈઈ 7723 આરોપીને આપેલી હતી.ત્યાર બાદ આરોપીએ રૂપિયા 1.74 લાખના 5 મોબાઈલ લીધા હતા જેની રકમ ફરિયાદીએ ચૂકવી હતી. જે બાદ આરોપીનો નોકળ 1.16 લાખ 2 આઈફોન પણ લઇ ગયો હતો.અને 1.40 લાખના વધુ ૩ મોબાઈલ પણ આરોપીએ ફરિયાદી પાસેથી લીધા હતા.તેમજ રોકડ 16 હજાર સહીત કુલ રૂપિયા 17.34 લાખ ફરિયાદી પાસેથી મેળવી રૂપિયા 4.32 લાખ ચૂકવ્યા હતા. બાકી રહેતા 13 લાખ માટે આરોપીએ 10 લાખનો ચેક આપ્યો હતો.જે બેંકમાં જમા કરાવતા સહી ખોટી કરેલી હોવાનું સામે આવ્યું હતું અને આરોપી દંપતીએ રૂપિયા 13 લાખની ઠગાઈ આચરી હતી.જે મામલે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઠગાઈ આચરવા ૩ બેંકની ખોટી રસીદ બનાવીમિત્રતાના નાતે ઉછીના લીધેલા રૂપિયા મામલે ઠગાઈ આચરવા આરોપીએ એસબીઆઈ બેંકની રૂપિયા 1.99 લાખની એનઈએફટીની ખોટી રસીદ ફરિયાદીને મોકલાવી હતી તેમજ મોબાઈલ ડીલરને આઈડીબીઆઈની રૂપિયા 1.99 લાખ અને ઇન્ડસઇન્ડ બેંકની રૂપિયા 2 લાખની ખોટી રસીદ મોકલાવી હતી જેના રૂપિયા જમા થયેલા ન હતા.
નકલી ડોલર્સનો વેપલો ઝડપાયો:ચીટરોએ ઠગાઈની હદ વટાવી, હવે નકલી ડોલરનો વેપલો
શહેરમાં રહેતા ચીટરોએ દેશના દરેખ ખુણામાં લોકોને પોતાની જાળમાં ફસાવ્યા છે અને કરોડો રૂપિયા પડાવી ચુક્યા છે.તેવામાં હવે છેતરપિંડીની સરહદ વટાવી રૂપિયાની સાથે નકલી ડોલરનો પણ વેપલો કરતા હોવાનું સામે આવ્યું છે. જેમાં એલસીબીએ ઇન્સ્ટાગ્રામમાં નકલી આઈડી બનાવી એકના ત્રણ અને સસ્તામાં સોનુ આપવાની લોભામણી જાહેરાત થકી છેતરપિંડીનો પ્રયાસ કરનાર શાંતીનગરના ઇસમને ઝડપી લઇ તેની પાસેથી રૂપિયા 500,200 અને અમેરિકન 100 ડોલરના નકલી બંડલો કબ્જે કર્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીના પીઆઈ એ.એમ.મકવાણાએ સોશિયલ મીડીયામાં ખોટી આઇડી બનાવી ભારતીય ચલણી નોટોનો અને સસ્તા સોનાના બિસ્કિટના વીડીયો બનાવી લોભામણી જાહેરાત કરતા ઈસમો સામે કાર્યવાહી કરવા ટીમને સુચના આપી હતી. એ દરમિયાન ટીમને બાતમી મળી હતી કે,સરપટનાકા બહાર શાંતિનગરમાં રહેતો આરોપી ફારૂક હુશેન સમા પોતાના કબ્જાના રહેણાક મકાનના આગણામાં આવેલ રૂમ પાસે હાજર છે.જે સોશિયલ મીડીયામાં ખોટા નામે આઈડી બનાવી રૂપીયા ત્રણ ગણા કરી આપવાની લોભામણી જાહેરાત મારફતે લોકો સાથે છેતરપીંડી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. બાતમીને આધારે તપાસ કરતા આરોપી હાજર મળી આવ્યો હતો.પોલીસે તેના મોબાઈલમાં તપાસ કરતા રાજેશ પટેલના નામની નકલી આઈડી બનાવેલી હતી.જેમાં રૂપિયા 500,200ની નોટાના બંડલો તેમજ 100 ડોલરના બંડલોના અલગ-અલગ વિડિયો તથા સોના જેવા લાગતા બિસ્કીટના વીડીઓ પોસ્ટ કરેલા હતા. જે આરોપીએ લોકોને વિશ્વાસમાં લઇ છેતરપીડી કરવાના ઇરાદે પોસ્ટ કરેલા હોવાની કબુલાત આપી હતી.જે મામલે ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બંડલની મશીનમાં ગણતરી,સ્ક્રીન પર નામ અને નંબરસોશિયલ મીડિયાને ઠગાઈ માટે હથિયાર બનાવનાર ચીટરોએ કરોડો રૂપિયાની ઠગાઈ આચરી લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે. એલસીબીએ ઝડપેલા ચીટરનો મોબાઈલ તપાસવામાં આવતા તેમાં અલગ અલગ વિડીયો પોસ્ટ કરેલા દેખાયા હતા.જેમાં એક વિડીયોમાં 500 ની નોટોના બંડલ પડેલા દેખાય છે અને સામે મશીનમાં તેની ગણતરી થતી હોય તેવું દેખાડવામાં આવ્યું હતું. જ્યારે ડોલરના બંડલના વિડીયોમાં આરોપીએ પોતાનો મોબાઈલ રાખેલો હતો જેની સ્ક્રીન પર નામ અને નંબર દેખાઈ રહ્યા છે.આ ઉપરાંત સોના જેવા દેખાતા બિસ્કીટનો વિડીયો પોસ્ટ કરેલો હતો. 190 બંડલમાંથી 100 ડોલરની 2 અને 500-200ની 40 નોટ સાચીએલસીબીએ આરોપીના કબ્જામાંથી નકલી નોટોના બંડલ કબ્જે કર્યા હતા.જેમાં ઉપર અને નીચેની નોટ સાચી અને અંદર ચિલ્ડ્રન બેંકની નોટો રાખેલી હતી.આરોપી પાસેથી 100 ડોલરના 90 બંડલ મળી આવ્યા હતા જેમાં માત્ર 2 નોટ સાચી હતી.જ્યારે રૂપિયા 500 અને 200 ના 50-50 બંડલ કબ્જે કરાયા હતા જેમાં 40 નોટ સાચી હતી બાકીની નકલી નોટો રાખેલી હતી.
સીબીએસઇ બોર્ડ પરીક્ષાઓ 17 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહી છે. ધો.12ના વિદ્યાર્થીઓ માટે છેલ્લી ઘડીની તૈયારી ખૂબ મહત્વપૂર્ણ છે. વિષય નિષ્ણાતોના મતે યોગ્ય વ્યૂહરચના સાથે અભ્યાસક્રમમાં સુધારો કરવાથી તમને સારો સ્કોર કરવામાં મદદ મળી શકે છે. પુનરાવર્તનથી સારો સ્કોર પ્રાપ્ત કરી શકાય છે. વિષય નિષ્ણાત જૈમિની શાહે વિષયવાર માહિતી આપી હતી. ગણિત : એનસીઇઆરટીના ઉદાહરણો ઉકેલો, સૂત્રોની મદદથી આત્મવિશ્વાસ કેળવાશેસીબીએસઇની પરીક્ષા પહેલા નવા પ્રકરણો વાંચવાનું ટાળો, બધા મહત્વપૂર્ણ સૂત્રોની યાદી બનાવો, એનસીઇઆરટી ઉદાહરણો ઉકેલો અને પ્રશ્નોનો અભ્યાસ કરો, પહેલા સરળ અને મધ્યમ પ્રશ્નો ઉકેલો, પહેલા મુશ્કેલ પ્રશ્નો છેલ્લા ઉકેલો. ભૌતિકશાસ્ત્ર : દરેક પ્રકરણને સિદ્ધાંત અને વ્યુત્પત્તિમાં વિભાજિત કરીને વાંચોભૌતિકશાસ્ત્રમાં સફળતા મેળવવા માટે એનસીઇઆરટીને મુખ્ય પુસ્તક બનાવો, દરેક પ્રકરણને સિદ્ધાંત, વ્યુત્પત્તિ અને સંખ્યાત્મકમાં વિભાજિત કરીને વાંચો, સૂત્રો અને વ્યુત્પત્તિઓની અલગ નકલ બનાવો. રસાયણશાસ્ત્ર : કાર્બનિકમાં આલ્કોહલ અને એમાઈન્સમાં ધ્યાન કેન્દ્રિત કરોકાર્બનિક રસાયણશાસ્ત્રમાં પ્રતિક્રિયાઓને નામ આપો, આલ્કોહલ અને એમાઇન્સ પર ધ્યાન કેન્દ્રિત કરો અને નિષ્ણાતોના મતે તેમને નામ આપો. ભૌતિક રસાયણશાસ્ત્રમાં ઉકેલો, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી અને રાસાયણિક ગતિશાસ્ત્રની સમીક્ષા કરો. અકાર્બનિક રસાયણશાસ્ત્રમાં, ડી-એફ બ્લોક અને સંકલન સંયોજનો મહત્વપૂર્ણ છે. જીવવિજ્ઞાન : ઉચ્ચ ભારાંક પ્રકરણો, સમય વ્યવસ્થાપન પર ધ્યાન આપવુંપરીક્ષા પહેલાં સમય વ્યવસ્થાપન અને યોગ્ય એકમો પર ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જીવવિજ્ઞાનમાં સૌથી વધુ ગુણ જિનેટિક્સ અને ઇવોલ્યુશન, પ્રજનન, બાયોટેકનોલોજી અને બાયોલોજી અને માનવ કલ્યાણમાંથી આવે છે. વિદ્યાર્થીએ પહેલા છ દિવસમાં આ મુખ્ય એકમોનું પુનરાવર્તન કરવું જોઈએ. બાકીના દિવસોમાં ઇકોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સોશિયલ મીડિયા અને મોબાઇલથી દૂર રહેવું જરૂરી : વિદ્યાર્થીઓએ પરીક્ષા પહેલાં મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયાથી દૂર રહેવું જરૂરી છે. વિદ્યાર્થીને પરીક્ષા સમયે મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયાથી ધ્યાન ભટકી શકે છે. વિદ્યાર્થીઓએ હળવી કસરત, યોગા, વોકિંગ કરીને રીલેકસ થવું જોઇએ. બહારનું ખાવાનું પણ ટાળવું જોઇએ.
સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો:86 ગામ વણકર સમાજના સમૂહ લગ્ન યોજાયા, વર-કન્યાનો વરઘોડો નીકળ્યો
શહેરના છાણી ખાતે 86 ગામ વણકર સમાજનો પાંચમો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો. જેમાં 12 યુગલે પ્રભૂતામાં પગલાં પાડ્યાં હતાં. સમાજના હેપી ગ્રૂપ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. સમાજનાં અગ્રણી કોર્પોરેટર રશ્મીકાબેન વાઘેલાએ જણાવ્યા મુજબ એક માત્ર સમૂહ લગ્નમાં વર-કન્યા બંનેને વરઘોડા દ્વારા લઇ જવામાં આવે છે. રવિવારે સવારે ફતેગંજ પોલીસ મથક પાસેથી વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જેમાં વર-કન્યાને છાણી લગ્ન સ્થળ સુધી લઇ જવાયાં હતાં. ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિના પ્રદેશ અધ્યક્ષ ભાજપના ડો.કિરીટ સોલંકી, વિધાનસભાના મુખ્ય દંડક બાળકુષ્ણ શુક્લ સહિત અગ્રણીઓે હાજર રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. યુગલને 150 વસ્તુ અપાઇ, કોર્પોરેટરે જમણવાર કર્યુંસમાજ દ્વારા યોજાયેલા લગ્નમાં નવદંપતીને ઘર વપરાશની અને જીવન જરૂરી 15 જેટલી વસ્તુ ભેટ આપવામાં આવી હતી. જ્યારે વોર્ડ 2નાં કોર્પોરેટર અને સમાજનાં અગ્રણી રશ્મીકા વાઘેલા દ્વારા લગ્નમાં 4 હજાર લોકોનું જમણવાર કરાવ્યું હતું.
વડોદરા સંસ્કારી નગરી તરીકે વિશ્વમાં ઓળખ ધરાવે છે. આ ઓળખ ઊભી કરવા માટે શહેરમાં થતાં અનેકવિધ સંસ્કારી કાર્યો કારણભૂત છે. આવું જ કાર્ય રવિવારે રાત્રે શહેરના રાજમાર્ગો પર થયું હતું. બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિર-અટલાદરાના ધો. 7થી 12ના વિદ્યાર્થીઓ દ્વારા શહેરમાં દંડવત યાત્રા યોજાઈ હતી. વિદ્યાર્થીઓ દ્વારા દંડવત દ્વારા ગુરુ ભક્તિ પ્રદર્શિત કરી હતી. તેમણે 45 હજાર દંડવત પ્રણામ ગુરુ ચરણે અર્પણ કર્યા હતા. અટલાદરા રોડ પર રવિવારે રાત્રે ભક્તિનો અનોખો નજારો જોવા મળ્યો હતો. બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિર, અટલાદરાના ધોરણ 7 થી 11ના 221 વિદ્યાર્થીઓએ ગુરુ મહંત સ્વામી મહારાજના ચરણે ઉત્તમ ગુરુ ભક્તિ રૂપ દંડવત યાત્રા યોજી હતી. શાસ્ત્રમાં દર્શાવ્યા અનુસાર દંડવત પ્રણામ એ અહંકાર મુક્તિ અને આદર ભાવનું સર્વોચ્ચ માધ્યમ છે. ગુરુ પ્રત્યે આદર અને સમર્પણ અર્થે રાત્રે 9 થી 1 વાગ્યા દરમિયાન યોજાયેલી આ યાત્રામાં દરેક વિદ્યાર્થીએ વ્યક્તિગત રીતે જાહેર માર્ગ પર 200-200 દંડવત કરી ગુરુ ભક્તિ અદા કરી હતી. કુલ 45 હજારથી વધુ દંડવત સાથે આ બાળકોએ અટલાદરા મુખ્ય માર્ગ પર શ્રદ્ધાનો સૈલાબ ઉમટાવ્યો હતો. આ દરમિયાન રોડ પર ટ્રાફિકનાં દૃશ્યો સર્જાયા હોવા છતાં બાળકોની આકરી તપશ્ચર્યા અને નિષ્ઠા જોઈને સૌ વટેમાર્ગુ પણ આશ્ચર્ય સહ ભાવવિભોર થયા હતા. સોમવારે પ્રાતઃ પૂજા દર્શનમાં મહંત સ્વામી મહારાજે આ બાળકોને આશીર્વાદ આપી તેમની ભક્તિ સ્વીકારીને બિરદાવી હતી. ફેક્ટ ફિગર
ઓટલાના દબાણ તોડી પડાયા:ગેંડીગેટથી વાડી સ્વામિનારાયણ મંદિર સુધી 20 ઓટલા તોડ્યા,3 ટ્રક ભરી સામાન જપ્ત
પાલિકાની દબાણ શાખાની બેદરકારીથી પાણીગેટ, મંગળબજાર, દૂધવાળા મહોલ્લો, પથ્થરગેટ સાઇકલ બજાર સહિતના વિસ્તારમાં દબાણ હટવાનું નામ નથી લેતાં. તેવામાં જમીન સંપાદન કરી રસ્તો ખુલ્લો કર્યાનાં વર્ષો બાદ ગેંડીગેટથી સ્વામિનારાયણ મંદિર સુધીના રોડ પર ઘરવખરી સહિતનાં દબાણોથી રોડ સાંકડો થયો હતો. જેથી વોર્ડ 14ની ટીમે દબાણ દૂર કરી 20 ઓટલા તોડ્યા હતા. ગેંડીગેટથી વાડી સ્વામિનારાયણ મંદિર રોડ સુધી વર્ષો અગાઉ જમીન સંપાદન કર્યા બાદ પણ રોડ પર ઘરવખરીનો સામાન, પાણીની પીપ, વાહનો અને લારી-ગલ્લાનાં દબાણો થતાં વોર્ડ 14ની ટીમે કાર્યવાહી કરી હતી. ટીમે 20 ઓટલા તોડવા સાથે લારી-ગલ્લા સહિત 3 ટ્રક સામાન જપ્ત કર્યો હતો. વાડી સ્વામિનારાયણ મંદિરથી હરણખાના રોડથી વોર્ડ 14ની ટીમ પાણીગેટ પહોંચી હતી. વોર્ડ ઓફિસર મહેશ રબારીએ લોકોની ધાર્મિક લાગણી ન દુભાય તે માટે મટન અને ચિકનનું વેચાણ કરતા વેપારીઓને પડદા રાખી વેચાણ કરવા ચેતવણી આપી હતી. મ્યુ. કમિશનરની વોર્ડ 14ની મુલાકાત બાદ ટીમો દોડતી થઈતાજેતરમાં મ્યુ. કમિશનર અરુણ મહેશ બાબુએ કાલુપુરા સ્થિત વોર્ડ 14ની કચેરીની ઓચિંતી મુલાકાત લેતાં અધિકારીઓ દોડતા થયા હતા. સ્થાનિક કાઉન્સિલરોની દબાણો દૂર કરવાની રજૂઆતને પગલે વોર્ડ 14ની ટીમે કાર્યવાહી હાથ ધરી છે. મંગળબજાર, ન્યાયમંદિરની ફરતેથી વાહનો, સુરસાગર ફરતે ખાણીપીણીનાં દબાણ હટાવ્યાં હતાં.
વેરાની વસૂલાત માટે કડકાઈ:600 કોમર્શિયલ મિલકતોને સીલ કરાઈ
પાલિકાએ 2025-26 માટે 800 કરોડના વેરા વસૂલાતનો લક્ષ્યાંક મૂક્યો છે. જેની સામે અત્યાર સુધી 525 કરોડની વેરાની વસૂલાત થઈ છે. વેરાની કડક વસૂલાત માટે 19 વોર્ડ કચેરીએથી 600 બિન રહેણાક મિલકતોને સીલ કરી છે. જ્યારે 60 હજારથી વધુ રહેણાક મિલકતોને વેરો ભરવા નોટિસ ફટકારી છે. પાલિકાએ 2025-26માં વેરાથી 800 કરોડથી વધુની આવકનો લક્ષ્યાંક મૂક્યો છે. જેમાં ફેબ્રુઆરીની શરૂઆત સુધી 525 કરોડની વસૂલાત કરાઈ છે. હાલમાં પાલિકાએ 2003 પછી બાકી મિલકત વેરાના વ્યાજમાં રહેણાક મિલકત માટે 80 ટકા અને બિન રહેણાક મિલકત માટે 60 ટકા વ્યાજ માફીની યોજના શરૂ કરી છે. આ યોજના વચ્ચે બાકી વેરાની કડક વસૂલાત માટે 19 વોર્ડ કચેરીની ટીમોએ 600 જેટલી રહેણાક મિલકતોને સીલ કરી છે. આ સિવાય વેરો ન ભરનાર 60 હજાર રહેણાક ગ્રાહકોને પણ નોટિસ આપી છે. આગામી દિવસોમાં વેરાની ભરપાઈ લોકો કરી શકે તે માટે ફેબ્રુઆરી અને માર્ચના બીજા અને ચોથા શનિવાર તથા તમામ રવિવારે કચેરીને ખુલ્લી રખાશે.
સમાના સરસ્વતી વિદ્યાલયને પાલિકાએ 5 લાખનો દંડ ફટકાર્યો છે. પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગે સરસ્વતી વિદ્યાલયની બાજુમાં બનાવેલા ફળ વનને નુકસાન પહોંચાડી ત્યાં ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવતાં કાર્યવાહી કરી છે. પાર્ક્સ ગાર્ડન વિભાગે સમાના સરસ્વતી વિદ્યાલયને 2022-23માં પત્ર લખી જણાવ્યું હતું કે, તમારી શાળાની નજીક ટીપી 12, ફાઈનલ પ્લોટ 203માં ગાર્ડન શાખા દ્વારા ફળ-વન તૈયાર કર્યું હતું. જોકે શાળા દ્વારા પ્લોટનો ગ્રાઉન્ડ તરીકે ઉપયોગ કરી ત્યાં વાવેલા છોડને નુકસાન કર્યું છે. ફળ વનમાં ઝાડ મોટાં થયાં હતાં, પરંતુ ક્રિકેટ રમી તેને તોડી નાખ્યાં છે. જેથી પર્યાવરણને નુકસાન કરવા બદલ 5 લાખનો દંડ ફટકારાય છે. જે ભરી જવા કહેવાયું હતું. પાર્ક્સ અને ગાર્ડન વિભાગે રેવન્યુ વિભાગને શાળાના વેરા બિલમાં ઉમેરી વસૂલવા રજૂઆત કરી છે. શાળાની બાજુમાં જ પ્લોટ હોવાથી ગેટ બનાવી તેનો મેદાન તરીકે ઉપયોગ કર્યોસૂત્રો મુજબ શાળાની બાજુમાં પ્લોટ હોવાથી ત્યાં જવા ગેટ બનાવ્યો અને તેનો ઉપયોગ ગ્રાઉન્ડ તરીકે શરૂ કર્યો હતો. પાલિકાએ 2022-23માં સરસ્વતી વિદ્યાલયને નોટિસ આપી હતી. ત્યારબાદ વારંવાર દંડ ભરવા તાકીદ કરી હતી. 7 ફેબ્રુઆરીએ ચોથું રિમાઇન્ડર મોકલ્યું છે. જેમાં કહેવાયું છે કે, 5 લાખનો દંડ ભરી જવો અન્યથા વેરા બિલ મારફતે વસૂલાશે અથવા કાયદેસરની કાર્યવાહી કરાશે.
રાજ્ય સરકારે કોમર્શિયલ પેસેન્જર વાહનમાં જીપીએસ સિસ્ટમ સાથેનું પેનિક બટન લગાવવું ફરજિયાત કર્યું છે. વડોદરા આરટીઓએ પાસિંગ માટે આવતા નવા કોમર્શિયલ વાહનમાં ચકાસણી શરૂ કરી છે. 1 જાન્યુઆરીથી નિયમ ફરજિયાત કરાતાં પાસિંગ થયેલાં જૂનાં વાહનોમાં પણ સિસ્ટમ નખાવવી પડશે. કેન્દ્ર સરકાર દ્વારા 2 વર્ષ અગાઉ આ નિયમ લવાયો હતો, જેનો તબક્કાવાર અમલ વિવિધ રાજ્ય દ્વારા કરાઇ રહ્યો છે. જૂના વાહનમાં ફિટનેસ કરાવવા જતી વખતે આ બટન નહીં હોય તો ફિટનેસ સર્ટિફિકેટ નહીં મળે. ટેક્સી, મેક્સી અને સ્કૂલ બસ સહિતનાં મોટાં કોમર્શિયલ વાહનમાં મુસાફરોની સુરક્ષા માટે આ અસરકારક રીતે અમલ થઇ રહ્યો છે. આ સિસ્ટમ માટે સોફ્ટવેર અપલોડ કરવું પડશે. જોકે વડોદરા આરટીઓ દ્વારા આ બટન અંગે માત્ર ચકાસણી કરાશે. બટન કાર્યરત છે કે નહીં તે અંગે તપાસ કરવાની નથી. નવી ટેક્સી પાસિંગ કરાવનારને બટનનો 17 હજાર ખર્ચ થશે. જોકે આ બટન દબાવવાથી ક્યાં બઝર વાગશે તે અંગે ડીલર, પોલીસ કે આરટીઓને જાણ નથી. કારના શોરૂમના કર્મચારી કિંજલ ચોકસીએ કહ્યું કે, જાન્યુઆરીની સિસ્ટમ હમણા કાર્યરત થતાં ગત મહિનાની માત્ર 18 કોમર્શિયલ કાર ફેબ્રુઆરીમાં ડિલિવરી આપી શક્યા છીએ. આરટીઓની કાર્યવાહીમાં 4 દિવસ લાગે છે. પોલીસને કોઈ જાણ નથી આરટીઓ જ કહી શકશેઆ વિષયમાં આરટીઓ જ વધુ પ્રકાશ પાડી શકે. પેનિક બટનનો ડેટાબેઝ કોની પાસે છે તે વિશે આરટીઓ જ કહી શકે. હજુ સુધી પોલીસને આ અંગે જાણ નથી. > ઋષિકેશ ઉપાધ્યાય, ડીસીપીટ્રાફિક મુશ્કેલીમાં મૂકાયેલા મુસાફરની મદદે કોણ જશે તેની સ્પષ્ટતા નહીંટ્રાન્સપોર્ટ વ્હીકલમાં લગાવવામાં આવેલું પેનિક બટન માત્ર કાગનો વાઘ જ સાબિત થાય તેવી શક્યતાઓ વધુ છે. જોકે હજુ સુધી બઝર ક્યાં વાગશે અને મુશ્કેલીમાં મૂકાયેલા મુસાફરની મદદે કોણ આવશે તે અંગે કોઇ પણ પ્રકારની સ્પષ્ટતા નથી. આ અંગે પોલીસ કે આરટીઓને જાણ નથી તેમજ કોઇ મુસાફર ટેક્સીમાં બેસે તો તેણે પહેલાં આ કંપનીની એપ ડાઉનલોડ કરવી પડશે કે કેમ તે અંગે પણ કોઈ સ્પષ્ટતા નથી. અમારે માત્ર બટન જ ચેક કરવાનું હોય છેવાહનની સિસ્ટમ ચેક કરવા માટે સરકાર દ્વારા 4 દિવસ ફાળવ્યા છે. જૂના વાહનને પણ સિસ્ટમ લગાવવી પડશે. અમારે માત્ર નવા વાહનું બટન ચેક કરવાનું છે. > કીર્તન ખપેડ, આરટીઓ, વડોદરા બટન કેવી રીતે કામ કરશે? શહેરમાં કોમર્શિયલ વાહનની સંખ્યા
જુગારીઓ રંગે હાથ ઝડપાયા:વિજાપુરમાં સોસાયટીના વરંડાની પાછળ જુગાર રમતાં 5 શખ્સો ઝડપાયા
વિજાપુર પોલીસે વિસનગર રોડ પર સોસાયટીના વરંડાની પાછળ ખરાબાની ખુલ્લી જગ્યામાં રેડ કરી દશરથ વરવાભાઈ પટેલ રહે. દરજીવાસ, ગોવિંદપુરા, સચિન વિક્રમભાઈ પટેલ રહે.જૂનો વાસ, આનંદપુરા, ભરત શીવાભાઈ પટેલ રહે. ડેરીની બાજુમાં, પટેલવાસ મણીપુરા, લક્ષ્મણસિંહ જીતસિંહ રાઠોડ રહે.ડેરીની પાછળ ખડાત અને અમૃત ઉર્ફે પ્રવીણ બેચરભાઈ પટેલ રહે. નવા ગામમાં મણીપુરાને જુગાર રમતાં ઝડપી 19,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહેસાણા જિલ્લામાં કેટલાક સમય પૂર્વે રાજ્ય સરકાર દ્વારા નવા મંજૂર કરવામાં આવેલા 21 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને જિલ્લાની 2 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તેમજ વિજાપુરના હિરપુરા સહિત બે જગ્યાએ બનનારી 2 આયુર્વેદિક હોસ્પિટલ સહિત સરકારી કચેરીઓ અને ઓફિસોના નવીન મકાન બનાવવા માટેનો માર્ગ મોકળો થયો છે. અત્યાર સુધી સરકારી જમીન વિના આરોગ્ય કેન્દ્રો સહિતની સરકારી ઓફિસોનું નિર્માણ થઈ શકતું ન હતું, પરંતુ જિલ્લા કલેક્ટર શૈલેશભાઈ પ્રજાપતિ અને અધિક જિલ્લા કલેક્ટર જશવંત જેગોડાએ છેલ્લા એક વર્ષ દરમિયાન કરોડોની કિંમતની 78 જેટલી જમીનો ફાળવી આપવાનો હુકમ કરતાં હવે આ તમામ આરોગ્ય કેન્દ્ર અને ઓફિસોને પોતાનું નવીન મકાન મળશે. જિલ્લામાં માત્ર ટૂંકા ગાળામાં ફાળવેલી આ જમીનોની વાત કરીએ તો, ગામડાની જંત્રી પ્રમાણે રૂ.90 લાખની 21 જેટલી જમીનો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સબ સેન્ટર માટે, રૂ.60 લાખની કિંમતની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માટેની 2, રૂ.80 લાખની કિંમતની આયુર્વેદિક હોસ્પિટલ માટેની 2, રૂ.80 લાખની કિંમતની ડ્રગ વેરહાઉસ બનાવવા માટે જમીનો ફાળવવામાં આવી છે. લાઇબ્રેરી બનાવવા માટેની એક, રૂ.24 લાખની કિંમતની ખેરાલુના હિરવાણી ખાતે બનનાર કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય માટેની બે, રૂ.10 લાખની કિંમતની બહુચરાજીના કરણસાગર ગામે સરકારી સ્કૂલની એક, રૂ.15 લાખની કિંમતની ધરોઈ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટને ત્રણ, રૂ.23 લાખની કિંમતની ઓફિસ બનાવવા માટેની બે, સાથે રેલવે મંત્રાલયના તારંગા-અંબાજી પ્રોજેક્ટમાં રસ્તા પૈકીની 37, કડી નગરપાલિકાના એસટીપી પ્લાન્ટ બનાવવા રૂ.25 લાખની કિંમતની એક જમીનો ફાળવવામાં આવી છે. ગોઝારિયા, દઢિયાળ અને બોરીસણા ગામે જેટકોની ઓફિસ બનાવવા માટે ત્રણ અને વિસનગર તાલુકાના તરભ ગામે બનનારી નવીન જીઆઇડીસી માટે 28 કરોડની એક મળી કુલ 78 જેટલી જમીનો ફાળવવામાં આવી છે.
સમૂહ લગ્નોત્સવ યોજાયો:પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજના 30મા સમૂહ લગ્નોત્સવમાં 23 નવયુગલો જોડાયાં
પાંચ ગામ લેઉવા પાટીદાર મહિલા સમાજ સેવા મંડળ આયોજીત 30મો સમૂહ લગ્નોત્સવ પાટણ જિલ્લાના બાલીસણા ખાતે નીલકંઠ મહાદેવ પરિસરમાં યોજાયો હતો. જેમાં 23 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતાં. સમાજ અને દાતાઓ દ્વારા નવયુગલોને કરિયાવર સહિતની ભેટો આપી હતી. આ સમૂહલગ્નની સાથે હૃદયરોગ નિદાન ફ્રી ચેકઅપ કેમ્પ અને વ્યસનમુક્તિ જાગૃતિ માટે સ્ટોલ બનાવી યુવાનોને વ્યસન કરવાથી શું થાય છે તે વિશે સમજ આપવામાં આવી હતી. તેમજ રક્તદાન કેમ્પમાં સમાજના રક્તદાતાઓ દ્વારા 105 બોટલ રક્ત આપવામાં આવ્યું હતું.
ટ્રેનો પ્રભાવિત થઇ:સાબરમતી-જેસલમેર ટ્રેન 25-26 ફેબ્રુઆરીએ પોકરણ સુધી જ દોડશે
જોધપુર ડિવિઝનમાં રેલવેની કામગીરીને લઈને આગામી 25 અને 26 ફેબ્રુઆરીએ બે ટ્રેનો પ્રભાવિત થશે. ઉત્તર ગુજરાતમાંથી પસાર થતી તથા સાબરમતી–જેસલમેર વચ્ચે દોડતી આ બંને ટ્રેનો પોકરણ સુધી જ જશે. પોકરણથી જેસલમેર વચ્ચેનો રૂટ આંશિક રીતે રદ રહેશે. આ બંને ટ્રેનો ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, ભીલડી અને ધાનેરા સ્ટેશનો પર સ્ટોપેજ ધરાવે છે. ઉત્તર-પશ્ચિમ રેલવેના જોધપુર ડિવિઝનમાં જેસલમેર યાર્ડ કમિશનિંગ તેમજ કોચિંગ મેન્ટેનન્સ ફેસિલિટી ડેવલપમેન્ટના કામના સંદર્ભમાં નોન-ઇન્ટરલોકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરીના કારણે સાબરમતી–જેસલમેર એક્સપ્રેસ ટ્રેન સેવામાં આંશિક ફેરફાર કરાયો છે. રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 25 ફેબ્રુઆરીના રોજ ચાલનારી ટ્રેન નંબર 20492 સાબરમતી– જેસલમેર એક્સપ્રેસ પોકરણ સ્ટેશન સુધી જ દોડશે. તે જ રીતે, 26 ફેબ્રુઆરીના રોજ ચાલનારી ટ્રેન નંબર 20491 જેસલમેર– સાબરમતી એક્સપ્રેસ જેસલમેરને બદલે પોકરણ સ્ટેશનથી ઉપડશે. પરિણામે, આ બંને ટ્રેનો પોકરણથી જેસલમેર વચ્ચેના રૂટ પર આંશિક રીતે રદ રહેશે.
વેધર રિપોર્ટ:દિવસે 32 ડિગ્રીના કારણે ગરમી, રાત્રે 15 ડિગ્રી તાપમાનથી ઠંડીનો ચમકારો
ઉત્તર ગુજરાતમાં સોમવારે દિવસ અને રાતના તાપમાનમાં પોણા ડિગ્રીથી લઈને દોઢ ડિગ્રી સુધીનો ઉતાર-ચઢાવ નોંધાયો હતો. તેમ છતાં, સવારે હળવી ઠંડી અને બપોરે ગરમીના અહેસાસ વચ્ચે બેવડી ઋતુનો અનુભવ યથાવત રહ્યો હતો. હવામાન વિભાગના અનુમાન મુજબ, આવી સ્થિતિ આગામી એક સપ્તાહ સુધી યથાવત રહેવાની શક્યતા છે. છેલ્લા બે દિવસથી ઉત્તર ગુજરાતમાં સવારના સમયે ભેજનું પ્રમાણ ઘટતું જઈ રહ્યું છે, જ્યારે બપોરના સમયે તેમાં વધારો નોંધાઈ રહ્યો છે. ભેજમાં આવેલા આ ફેરફાર વચ્ચે સોમવારે દિવસ-રાતના તાપમાનમાં પોણા ડિગ્રી સુધીની વધ-ઘટ જોવા મળી હતી. ઠંડીનો પારો 15થી 15.5 ડિગ્રી વચ્ચે રહેતાં સવારના સમયે હળવી ગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો. બીજી તરફ, પોણા ડિગ્રીના ઘટાડા સાથે દિવસનું મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. બપોરના સમયે વધેલા ભેજના કારણે સતત બીજા દિવસે દિવસના તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. તેમ છતાં, હવામાનમાં બેવડી ઋતુનો અહેસાસ યથાવત રહ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તથા દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર સર્જાયેલી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે આગામી બે દિવસ ઉત્તર ગુજરાતનું વાતાવરણ આંશિક વાદળછાયું રહી શકે છે. જોકે, આ બંને સિસ્ટમોની અસર છતાં આગામી સાત દિવસ દરમિયાન દિવસ અને રાતના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નહિવત છે.
SIRની કામગીરી:જિલ્લામાં મતદાર ડ્રાફ્ટ યાદીમાં બાકી પુરાવા ચકાસણી સહિત 99%કામ પૂરું
મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમમાં જિલ્લામાં ડ્રાફ્ટ યાદીમાં આવેલા 15.97 લાખ મતદારો પૈકી નો મેપિંગ, તાર્કિક ખામીઓમાં ડોક્યુમેન્ટ વેરીફીકેશન તા.9 ફેબ્રુઆરીને સોમવાર સુધીમાં 99 ટકા કામગીરી પૂર્ણ થઇ છે અને મંગળવારે છેલ્લા દિવસે પૂર્ણ થઇ જશે. સોમવારે જિલ્લા અને વિધાનસભા ક્ષેત્રના અધિકારી લેવલે કમ્પ્યુટર સિસ્ટમ પર આખો દિવસ અને મોડી સાંજ સુધી ઓનલાઇન ચકાસણી સાથે નિર્ણય પ્રક્રિયા ચાલી હતી. એસઆઈઆરમાં ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થયા પછી તા.10 ફેબ્રુઆરી સુધીમાં મતદારોની નોટિસ સુનાવણી યોજી ગણતરી ફોર્મ પરના નિર્ણય અને સાતેય વિધાનસભાના ચૂંટણી અધિકારી દ્વારા વાંધા સૂચનોની ચકાસણી કરીને નિકાલ કરવાની અવધી છે. ત્યારે આ કામગીરી અંતિમ ચરણમાં પહોંચી છે. નો મેપિંગ અને તાર્કિક ખામીઓમાં અપલોડ ડોક્યુમેન્ટોની ચકાસણી કામગીરી પૂર્ણતાએ છે. વાંધા સુચનોના નિર્ણય લેવાની કામગીરી પણ પૂર્ણતાએ છે. આ દરમિયાન ઓનલાઈન ફોર્મ નં. 6, 7 અને 8 બીએલઓ ચકાસણી થઇને આવ્યા તેના નિર્ણય લેવાની કામગીરી પણ સમાંતર ચાલી રહી છે. હવે આગામી તા.13મીએ મતદાર યાદીના હેલ્થ પેરામીટર્સની ચકાસણી અને આખરી પ્રસિદ્ધિ માટે ચૂંટણી પંચની પરવાનગી જિલ્લા ચૂંટણી તંત્ર મેળવશે. ત્યાર પછી તા.17 ફેબ્રુઆરીએ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરા શે તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ.બી. પરમારે કહ્યું હતું.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર પાકિસ્તાનની જાહેરાત સાથે જોડાયેલા રહ્યા. તે ટી-20 વર્લ્ડ કપમાં ભારત સામે મેચ રમવા માટે તૈયાર થઈ ગયું છે. બીજા મોટા સમાચાર જેલમાં અબ્દુલ રહેમાનની હત્યાને લઈને રહ્યા. તેણે રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાનું કાવતરું ઘડ્યું હતું. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. રાહુલ ગાંધી દિલ્હીમાં કોંગ્રેસના નવનિયુક્ત જિલ્લા પ્રમુખોને ટ્રેનિંગ આપશે. 2. I-PACની કોલકાતા ઓફિસ પર પાડવામાં આવેલા દરોડાના મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. કાલના મોટા સમાચારો 1. T20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે:પાકિસ્તાની મીડિયાનો દાવો, શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથેની વાતચીત બાદ શાહબાઝ સરકાર સંમત થઈ 15 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપ રમાશે. પાકિસ્તાની ન્યૂઝ ચેનલ ડોને સરકારી પાકિસ્તાન ટીવીને ટાંકીને અહેવાલ આપ્યો છે કે સરકાર T20 વર્લ્ડ કપમાં ભારત સામે મેચ રમવા માટે સંમત થઈ ગઈ છે. ચેનલ અનુસાર, બાંગ્લાદેશ અને શ્રીલંકાની વિનંતીઓ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ડોન ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે વડાપ્રધાન શાહબાઝને શ્રીલંકાના રાષ્ટ્રપતિ દિસાનાયકેનો ફોન આવ્યો હતો જેમાં તેમને ભારત સામે મેચ રમવા માટે કહેવામાં આવ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ફરીદાબાદ જેલમાં આતંકવાદી અબ્દુલ રહેમાનની હત્યા:રામ મંદિર ઉડાવવાનું ષડયંત્ર રચ્યું હતું, માર્ચ 2025માં ગુજરાત ATSએ ઝડપ્યો હતો હરિયાણાની ફરીદાબાદ જેલમાં બંધ આતંકવાદી અબ્દુલ રહેમાનની હત્યા કરી દેવામાં આવી છે. રવિવારે મોડી રાત્રે જેલમાં મર્ડર કેસમાં બંધ અરુણ ચૌધરી ઉર્ફે અબ્બુ જટ નામના કેદીએ તેના પર તીક્ષ્ણ વસ્તુથી હુમલો કર્યો. બંનેને હાઈ સિક્યુરિટીવાળી બેરેકમાં એકસાથે બંધ કરવામાં આવ્યા હતા. હત્યાની જાણ થતાં જ જેલ અધિકારીઓ બેરેકમાં પહોંચ્યા. ત્યારબાદ આતંકવાદીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો. 20 વર્ષના આતંકવાદી અબ્દુલને ગુજરાત ATSએ માર્ચ 2025માં પકડ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે તે અલકાયદા ઇન ઇન્ડિયન સબ-કોન્ટિનેન્ટ (AQIS)ના કુખ્યાત આતંકવાદી અબુ સુફિયાનના સંપર્કમાં હતો. તેણે અયોધ્યામાં રામ મંદિર ઉડાવી દેવાનું ષડયંત્ર રચ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ISROએ ચંદ્રયાન-4 માટે લેન્ડિંગ સાઇટ શોધી કાઢી:ચંદ્રના સાઉથ પોલ પર મોન્સ માઉટન પર્વત પર ઊતરશે; ચંદ્ર પરથી માટી અને ખડકો લાવવામાં આવશે ઇસરોએ ચંદ્રયાન-4 મિશન માટે ચંદ્રના સાઉથ પોલ નજીક એક લેન્ડિંગ સાઇટ શોધી કાઢી છે. ચંદ્રયાન-2 ઓર્બિટર દ્વારા મળેલા ફોટાના આધારે વૈજ્ઞાનિકોએ મોન્સ માઉટન વિસ્તારને લેન્ડિંગ માટે સૌથી યોગ્ય ગણાવ્યો છે. મોન્સ માઉટન ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક આવેલો લગભગ 6,000 મીટર ઊંચો પર્વત છે. એની ટોચ મોટેભાગે સપાટ છે, જે લેન્ડિંગ માટે અનુકૂળ છે. જોકે લેન્ડિંગ સાઇટ અંગેનો અંતિમ નિર્ણય લોન્ચિંગ નજીક લેવામાં આવશે. વૈજ્ઞાનિકોના મતે, આ વિસ્તાર એટલા માટે પણ મહત્ત્વનો છે, કારણ કે અહીં લાંબા સમય સુધી સૂર્યપ્રકાશ મળે છે. આ ઉપરાંત આ વિસ્તારમાં વોટર આઇસ (પાણીનો બરફ) હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. વિદ્યાર્થિનીને માથામાં ગોળી મારી પોતે પણ સુસાઈડ કર્યું: VIDEO:પંજાબની લૉ કોલેજમાં વેલેન્ટાઇન વીકમાં પ્રપોઝ રિજેક્ટ કરતાં વિદ્યાર્થીએ ગોળી માર્યાની શંકા પંજાબના તરનતારન સ્થિત લો કોલેજમાં આજે (9 ફેબ્રુઆરીએ) એક વિદ્યાર્થીએ ક્લાસરૂમમાં ઘૂસીને એક વિદ્યાર્થિનીની ગોળી મારીને હત્યા કરી દીધી. આ પછી તેણે પોતાને પણ ગોળી મારીને ત્યાં જ આત્મહત્યા કરી લીધી. હત્યા અને આત્મહત્યાની આ ઘટના પછી ક્લાસરૂમમાં હડકંપ મચી ગયો. મૃતક વિદ્યાર્થિની સંદીપ કૌર (ઉં.વ.20) છે, તે લો કોલેજમાં ફર્સ્ટ યરની વિદ્યાર્થીની હતી. જ્યારે આરોપી વિદ્યાર્થી તરનતારનનો અભિરાજ સિંહ છે, તે પણ વિદ્યાર્થિની સાથે ભણતો હતો. પોલીસે આખી લો કોલેજને સીલ કરી દીધી છે, પોલીસ હત્યાનાં કારણોની તપાસ કરી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. એપસ્ટીનના ‘કાળા ચિઠ્ઠા’માં 38,000 વખત ટ્રમ્પનું નામ:10 દેશમાં રાજીનામાં, 80 સામે તપાસ, શાહી પરિવારોથી લઈને અબજોપતિઓનાં નામ સેક્સ સ્કેન્ડલમાં ઊછળ્યાં અમેરિકામાં નાની છોકરીઓના યૌનશોષણ અને માનવ તસ્કરીના આરોપી અબજોપતિ જેફરી એપસ્ટીન સાથે સંકળાયેલા ગુપ્ત દસ્તાવેજો સાર્વજનિક થતાં જ દુનિયાના સત્તા અને પ્રભાવના ગલિયારાઓમાં ખળભળાટ મચી ગયો છે. અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલા લગભગ 30 લાખ પાનાંના દસ્તાવેજો પછી અત્યારસુધીમાં 10 દેશોમાં 15થી વધુ ઉચ્ચ અધિકારીને પદ ગુમાવવું પડ્યું છે. 80થી વધુ મોટાં નામો વિરુદ્ધ તપાસ ચાલી રહી છે. અમેરિકાથી યુરોપ સુધી ફેલાયેલી એપસ્ટીન ફાઇલોએ રાજકારણીઓ, રાજદૂતો, અબજોપતિઓ અને શાહી પરિવારો સુધી તપાસની આંચ પહોંચાડી દીધી છે. ફાઇલોમાં 700-1000 પ્રભાવશાળી લોકોનાં નામ ઇ-મેલ, ફ્લાઇટ લોગ્સ અને સંપર્ક રેકોર્ડ્સમાં નોંધાયેલાં છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ગુજરાતમાં 20 એપ્રિલથી વસતિ ગણતરી:19 મે સુધી હાઉસલિસ્ટિંગ પ્રક્રિયા, દરેક ઘર સહિતની અન્ય માહિતીઓ એકત્રિત કરાશે દેશભરમાં યોજાનારી વસતિ ગણતરી–2027 માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, 1 એપ્રિલ 2026થી 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન સમગ્ર દેશમાં હાઉસલિસ્ટિંગ કામગીરી હાથ ધરવામાં આવશે. ગુજરાત રાજ્યમાં આ પ્રક્રિયા માટે વિશેષ સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. રાજ્યમાં 20 એપ્રિલ 2026થી 19 મે 2026 સુધી હાઉસ લિસ્ટિંગ ઓપરેશન હાથ ધરાશે. આ દરમિયાન દરેક મકાન, રહેણાંક એકમ અને ઘરેલુ માહિતી એકત્રિત કરવામાં આવશે. હાઉસ ટુ હાઉસ ગણતરી શરૂ થાય તે પહેલાં 15 દિવસ માટે સ્વ-ગણતરી પણ કરાશે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. આ અન્ડરવેર સોનાનું છે, નીકળ્યું 45 લાખનું સોનું:દુબઈથી આવેલો શખસ અમદાવાદ એરપોર્ટ પર 96 લાખના ગોલ્ડ સાથે ઝડપાયો અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે દુબઈથી આવેલા એક શખસ પાસેથી કુલ 96 લાખ રૂપિયાનું સોનું ઝડપ્યું છે. આ શખસે દાણચોરી માટે ચાલાકીપૂર્વક તેના અન્ડરવેરમાં 45 લાખની કિંમતનું સોનું પેસ્ટ સ્વરૂપે છુપાવ્યું હતું, જે જોતાં પહેલી નજરે સામાન્ય કાપડ જેવું જ દેખાતું હતું. પરંતુ કસ્ટમ્સ વિભાગને એરપોર્ટ પર શખસની શંકાસ્પદ હિલચાલના આધારે તેની તપાસ કરતાં આ અનોખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો હતો અને અધિકારીઓ પણ સોનાને છુપાવવાની આ પદ્ધતિ અને સંપૂર્ણ સોનાનું અંડરવેર જોઈને દંગ રહી ગયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : રાહુલ ગાંધીએ કહ્યું, શું તમે મને બોલવા દેશો?:રિજિજુએ કહ્યું, કોઈ કમિટમેન્ટ નથી, લોકસભા સ્થગિત; વિપક્ષ સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : બાંગ્લાદેશ ચૂંટણી સિરીઝ પાર્ટ-1:શેખ હસીનાના પિતા મુજીબુર તાનાશાહ બન્યા, આર્મીએ ઘરમાં ગોળી મારી; એક વર્ષમાં 3 ઊથલપાથલ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : અજિત પવારનું પ્લેન બોમ્બની જેમ કેમ ફાટ્યું?:ભત્રીજા રોહિત પવારને પ્લેન ક્રેશમાં ગરબડની આશંકા, મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ઘટસ્ફોટ કરશે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : પુતિનને પણ હસીનાઓના રવાડે ચઢાવવા માંગતો હતો:એપસ્ટીન પુતિનને પણ ઓફર કરવાના પ્રયાસમાં હતો, નવા દસ્તાવેજોથી ખુલાસો વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : સોના-ચાંદીના ભાવ આજે કેટલા વધ્યા?:કિલો ચાંદીનો ભાવ રુ. 2.62 લાખે પહોંચ્યો, જાણો ખરીદતી વખતે શું ધ્યાન રાખશો? વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ત્રીજી વાર નક્કી થયા રિંકુ સિંહના લગ્ન!:IPL પછી સાંસદ પ્રિયા સાથે કાશીમાં 7 ફેરા લેશે, રાજકીય વિવાદોથી બચવા પરિવારે નવો રસ્તો કાઢ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : સૂર્યાસ્ત પછી અગ્નિસંસ્કાર કેમ વર્જિત છે?:શા માટે શબની આસપાસ લોકોનું હોવું જરૂરી છે? ગરુડ પુરાણની રસપ્રદ વાતો વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ એક જ ગામમાં અંદરોઅંદર લગ્ન કરવા પર પ્રતિબંધ અમૃતસરના ધારીવાલમાં પંચાયતે લવ મેરેજ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જાણકારી મુજબ, પ્રેમ લગ્ન કરનારાઓને ગામમાંથી બહાર કાઢવામાં આવશે અને તેમના પરિવારોનો સામાજિક બહિષ્કાર કરવામાં આવશે. આ કડક નિર્ણય ગામમાં વધી રહેલા પ્રેમ લગ્નના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર:ભારત સામેની મેચના બદલામાં પાકિસ્તાનની ત્રણ માંગણીઓ, શું શાહબાઝ સરકાર ફરી યુ-ટર્ન લેશે? ICC પડદા પાછળ શું કરી રહ્યું છે? 2. વિદેશથી કેટલું સોનું, મોબાઇલ, દારૂ, રોકડ લાવી શકાય?: સામાન, ઘરેણાં માટે આવ્યા નવા નિયમ; કસ્ટમ્સ વિભાગે અમદાવાદ એરપોર્ટ બહાર શરૂ કર્યું હેલ્પ ડેસ્ક 3. બાંગ્લાદેશથી ભાસ્કર જમાતના પ્રથમ હિન્દુ ઉમેદવાર બોલ્યા, શરિયા નહીં લાવીએ: રેલીમાં મહિલાઓને પડદાની પાછળ બેસાડી, રોકડ વહેંચતાં કેમેરામાં કેદ 4. મંડે મેગા સ્ટોરી NSA ડોભાલે સ્પેસ સેન્ટરની સિક્રેટ મુલાકાત કેમ લીધી?: શું ભારતનું સ્પેસ મિશન જોખમમાં છે; રિસર્ચ પ્રોગ્રામ્સની જાસૂસીની કહાની કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ મંગળવારનું રાશિફળ:કર્ક રાશિના લોકોને ગ્રહોના શુભ ગોચરથી ફાયદો, મકર રાશિના જાતકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાના યોગ (સંપૂર્ણ રાશિફળ વાંચો)
રાજ્ય સરકાર દ્વારા હિટ એન્ડ રનના કિસ્સામાં મૃતકના વારસદારોને રૂ.2 લાખ વળતર આપવાની યોજના અમલમાં હોવા છતાં, યોગ્ય જાણકારીના અભાવે લોકો તેનો પૂરો લાભ લઈ શકતા નથી. મહેસાણા જિલ્લામાં છેલ્લા 4 વર્ષમાં હિટ એન્ડ રનના અંદાજે 157 જેટલા કેસ નોંધાયા છે, પરંતુ તેની સામે વળતર મેળવવા માટે માત્ર 89 અરજીઓ જ પ્રાપ્ત થઈ છે. તે પૈકી 71 અરજી મંજૂર કર્યા બાદ 42 કિસ્સામાં વળતર ચૂકવી દેવાયું છે. વર્ષ 2022થી અમલી બનેલી આ યોજના મુજબ, જો કોઈ અકસ્માત કરનાર વાહનની ઓળખ ન થઈ હોય તેવા કિસ્સામાં મૃતકના વારસદારોને રૂ.2 લાખની સહાય અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત વ્યક્તિને રૂ.50 હજારની સહાય મળવાપાત્ર છે. જિલ્લાના 11 પોલીસ મથકોમાં નોંધાયેલા કેસોની સરખામણીએ સહાય મેળવનારાઓની સંખ્યા ઘણી ઓછી છે. અત્યાર સુધી આવેલી 89 અરજીઓ પૈકી હિટ એન્ડ રન કમિટીએ 71 અરજીઓ મંજૂર કરી છે અને તેમાંથી 42 કિસ્સામાં વળતર ચૂકવી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે, કમિટી સમક્ષ આવેલી અરજીઓમાંથી માત્ર 2 જ અરજી નામંજૂર કરવામાં આવી છે, 28 અરજીમાં પેમેન્ટ ચૂકવવાનું બાકી છે. વળતર માટે મામલતદાર, કલેક્ટરને અરજી કરી શકાય જિલ્લા કલેક્ટર અને હિટ એન્ડ રન કમિટીના અધ્યક્ષ શૈલેષભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે, જે અકસ્માતમાં વાહન ચાલક ભાગી ગયો હોય અને તેની ઓળખ ન થઈ હોય, તેવા કિસ્સામાં મૃતકના વારસદારો અથવા ઇજાગ્રસ્ત વ્યક્તિએ વળતર મેળવવા માટે સ્થાનિક મામલતદાર કચેરી અથવા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અરજી કરવી જોઈએ.
મહેસાણા શહેરમાં રામોસણા ફ્લાય ઓવરબ્રિજ નીચે નવ મહિનામાં તાલુકા પંચાયતની જેમ જ પિકનિક પોઇન્ટની જેમ સુશોભિત સ્પેસ મેકિંગનું નજરાણું તૈયાર થઇ જશે. અહીં 2900 ચોરસ મીટર જગ્યામાં એમ્ફી થિયેટર, ચિલ્ડ્રન પ્લે અને કેફેટેરીયાની મજા માણી શકાશે. બ્રિજ નીચે હાલ અંડરપાસ સાઇડ 80 મીટર લંબાઈમાં સાડા ત્રણ મીટર પહોળાઈમાં ખોદકામ કર્યું છે. હવે અહીં અંડરપાસ સાઇડ આરસીસી કમ્પાઉન્ડ વોલ કરવામાં આવશે અને પછી રોડ સાઇડ પરફોલેટેડ ઝાળી-ગ્રીલ લગાવી અંદરની 2900 ચોરસ મીટર જગ્યા કોર્ડન કરવામાં આવશે. મનપાના સૂત્રોએ કહ્યું કે, રૂ.2.63 કરોડના ખર્ચે આગામી નવ મહિનામાં રામોસણા ફ્લાય ઓવરબ્રિજ નીચે સ્પેસ મેકિંગ તૈયાર થઇ જશે. હાલ કામગીરી શરૂ કરાઇ છે. સ્પેસ મેકિંગમાં 2 પીકાલ બોલકોર્ટ બનશે એટલે કે શોર્ટ ટેનિસ રમી શકાશે. 3-ડી પેઇન્ટિંગ કરાશે. ચાલવા માટે પાથ-વે બનશે. બેઠક સાથે એમ્ફી થિયેટર બનશે, જ્યાં લોકલ કલાકાર તાલુકા પંચાયતની જેમ કલા પ્રસ્તુત કરી શકે, નાના કોન્સર્ટ પ્લેટફોર્મની જેમ. પાર્કિગમાં કેટલાક ટુ વ્હીલર અને ફોર વ્હીલર આવી શકશે. લેન્ડ સ્કેપિંગ અને કેફેટેરિયા બનશે. બાળકોને કરવા ચિલ્ડ્રન પ્લે એરિયા હશે.
પાકિસ્તાન દ્વારા ભારતીય જલસીમા નજીકથી છેલ્લા 23 વર્ષમાં પોરબંદરની 800 સહિત સમગ્ર રાજ્યની 1192 જેટલી ફિશિંગ બોટ અપહરણ કરી કબ્જે કરી છે ત્યારે 35 લાખ રૂપિયાની 1 એવી 280 કરોડની 800 બોટ બંધક બનાવી લીધી હોવાથી 800 બોટ મલિક અને 5400 માછીમારો પાયમાલ થઇ ગયા છે.અગાઉ પાકિસ્તાન દ્વારા વર્ષ 2013માં માછીમારોની ફિશિંગ બોટ મુક્ત કરી હતી ત્યારે છેલ્લા 16 વર્ષથી એકપણ બોટ મુક્ત કરવામાં ન આવતા માછીમારો પાયમાલ બન્યા છે. સમગ્ર રાજ્યમાં મોટી સંખ્યામાં માછીમાર પરિવાર વસવાટ કરે છે.આ માછીમાર પરિવાર દરિયામાં માછીમારી કરી પોતાના પરિવારનું ગુજરાત ચલાવી રહ્યા છે પરંતુ આ માછીમારોની રોજીરોટી સમાન બોટને પાકિસ્તાન દ્વારા ભારતીય જલસીમાં નજીકથી અપહરણ કરી જવામાં આવી રહી છે.આ સિલસિલો 1989 થી પાકિસ્તાન દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.ત્યારથી જ દર વર્ષે પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય જળસીમ નજીકથી અવાર નવાર ભારતીય બોટ અને માછીમારોના અપહરણ કરવામાં આવી રહ્યા છે.પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય જળસીમાં નજીકથી અવાર નવાર ભારતીય બોટ અને માછીમારોના અપહરણ કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાન દ્વારા 2003માં 46 જેટલી ભારતીય બોટ મુક્ત કરવામાં આવી હતી તેમજ 2013માં ફરી 56 જેટલી ભારતીય બોટ પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામાં આવી હતી.પાકિસ્તાન દ્વારા છેલ્લા 30 વર્ષમાં 102 જેટલી ભારતીય બોટ મુક્ત કરવામાં આવી છે પરંતુ છેલ્લા 16 વર્ષથી એકપણ ભારતીય બોટ મુક્ત કરવામાં આવી નથી. હાલ પાકિસ્તાનના કબ્જામાં પોરબંદરની 800 સહિત સમગ્ર રાજ્યની 1192 જેટલી ફિશિંગ બોટ અપહરણ કરી કબ્જે કરી છે ત્યારે 35 લાખ રૂપિયાની 1 એવી 280 કરોડની 800 બોટ બંધક બનાવી લીધી હોવાથી 800 બોટ મલિક અને 5400 માછીમારો પાયમાલ થઇ ગયા છે.અગાઉ પાકિસ્તાન દ્વારા વર્ષ 2013માં માછીમારોની ફિશિંગ બોટ મુક્ત કરી હતી ત્યારે છેલ્લા 16 વર્ષથી એકપણ બોટ મુક્ત કરવામાં ન આવતા માછીમારો પાયમાલ બન્યા છે. એક બોટની કેટલી કિંમત સામાન્ય રીતે માછીમારોની બોટ બનાવવામાં માટે માછીમારોને રૂપિયા 35 થી 50 લાખનો ખર્ચ કરવો પડી રહ્યો છે. હાલ માં તો માછીમારો ફાઇબર બોટ તરફ વળ્યા છે.આ બોટ બનાવવા માટે 60 લાખનો ખર્ચ થાય છે.જોકે લાકડાની બોટ સૌથી વધુ માછીમારો બનાવી રહ્યા છે.
મુસાફરોને ભારે મુશ્કેલી:રેલ્વે સ્ટેશને ટિકીટ માટે એક જ બારી કાર્યરત, ટિકીટ લેવા લાંબુ વેઈટીંગ
પોરબંદરના રેલ્વે સ્ટેશન ખાતેથી અનેક ટ્રેઈન જતી હોય છે ત્યારે રેલ્વે સ્ટેશન ખાતે બપોરના સમયે રાજકોટ જવા માટે 2 ટ્રેઈન હોવાથી મુસાફરોની ભીડ વધુ જોવા મળે છે.પરંતુ આ રેલ્વે સ્ટેશન ખાતે જનરલ ટીકીટ માટે એક જ બારી ઉપલબ્ધ હોવાથી મુસાફરોને લાંબી લાઇનમાં ઉભવાની નોબત આવે છે જેથી મુસાફરોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. પોરબંદરના રેલ્વે સ્ટેશન ખાતે હવે દિવસ દરમ્યાન અનેક લોકલ તેમજ એક્સપ્રેસ ટ્રેઈન ઉપડે છે.ત્યારે પોરબદરથી બપોરના 2:30 તેમજ 4 વાગ્યે એમ 2 ટ્રેઈન રાજકોટ જવા માટે ઉપલબ્ધ છે. પોરબંદર થી રાજકોટ જવા માટે બપોરના સમયે 2 ટ્રેઈન હોવાથી મુસાફરોની પણ વધુ ભીડ જોવા મળે છે પરંતુ પોરબંદરના રેલ્વે સ્ટેશન ખાતે બપોરના સમયે જનરલ ટીકીટ લેવા માટે એક જ બારી હોવાથી મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડે છે તો આ સમસ્યાને લઈને મુસાફરોને ટ્રેઈનના સમયના 1 કલાક અગાઉ રેલ્વે સ્ટેશન ખાતે આવવાની ફરજ પડે છે.તો અમુક દિવસોમાં મુસાફરોને ટીકીટ મળતી નથી અને ટ્રેઈનમાં ટીકીટ વગર મુસાફરી કરવાની ફરજ પડે છે. આમ, રેલ્વે સ્ટેશન પર ટિકીટબારી વધુ કાર્યરત કરવામાં આવે તો મુસાફરોને પડતી મુશ્કેલીઓનો અંત આવી શકે તેમ છે. ટ્રેનનો વધારો થતા પોરબંદર રેલ્વે સ્ટેશન પર કોઇ જ સારી સુવિધા નથી પોરબંદરના રેલ્વે સ્ટેશન ખાતે અનેક ટ્રેઈન ઉપલબ્ધ થઈ છે.પરંતુ રેલ્વે સ્ટેશન ખાતે મુસાફરો માટેની ટીકીટ બારી વર્ષોથી 3 જ ઉપલબ્ધ છે જેમાં 2 ટીકીટ બારી રિઝર્વેશન માટે ઉપલબ્ધ છે અને 1 ટીકીટ બારી જનરલ ટીકીટ માટે ઉપલબ્ધ છે ત્યારે તેમાં પણ વધારો કરવો જરૂરી બન્યો છે.
વાતાવરણ:પોરબંદર શહેર અને જિલ્લામાં મહતમ તાપમાન 3 ડિગ્રી ઘટીને 30 ડિગ્રી નોંધાયું
પોરબંદરમાં મહતમ તાપમાન 3 ડિગ્રી ઘટીને 30 ડિગ્રી નોંધાયું છે જ્યારે લઘુતમ તાપમાન 16 ડિગ્રી યથાવત રહ્યું છે તેમજ ભેજનું પ્રમાણ પણ 50 ટકા યથાવત રહ્યું છે. મહતમ તાપમાન ઘટી જતા અને ભેજનું પ્રમાણ વધતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે જ્યારે રાત્રે ઝાંકળ છવાઈ હતી. પોરબંદરમાં છેલ્લા ચાર દિવસથી ઠંડીનું પ્રમાણ ઘટ્યું હતું જ્યારે સોમવારે ઠંડીના પ્રમાણમાં આંશિક વધારો થયો છે. છેલ્લા 3 દિવસથી મહતમ તાપમાન 33 ડિગ્રી રહ્યું હતું અને છેલ્લા 4 દિવસથી લઘુતમ તાપમાન 16 ડિગ્રી યથાવત રહ્યું છે પરંતુ સોમવારે મહતમ તાપમાન 3 ડિગ્રી નીચું આવીને 30 ડિગ્રી નોંધાયું છે, જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 50 ટકા નોંધાયું છે. મહતમ તાપમાન ઘટી જતા અને ભેજનું પ્રમાણ 50 ટકા હોવાને કારણે રાત્રીના સમયે ઠંડીનું પ્રમાણ વધ્યુ છે જ્યારે મોડી રાતથી વહેલી સવાર સુધી ઝાંકળ પડતા વાહનો ભીના થયા હતા. આ ઋતુમાં માથે કાન ટોપી પહેરવી હિતાવહ હાલ મિશ્ર ઋતુ ચાલે છે અને ઝાંકળ પડી રહી છે ત્યારે રાત્રિના સમયે અને વહેલી સવારે ઘરની બહાર નીકળતા લોકોએ કાન ટોપી ખાસ પહેરવી જોઈએ. ઝાંકળ માથે પડવાને કારણે કફ, કાનમાં ફંગશ અને માથાનો દુખાવા જેવી સમસ્યા થાય છે જેથી કાનટોપી પહેરવી હિતાવહ હોવાનું સિવિલના તબીબે જણાવ્યું હતું.
અકસ્માત:બસે સ્કુટરને હડફેટે લેતા સ્કૂટર ચાલક વૃદ્ધનું મોત
ધરમપુર પાટિયા પાસે ખાનગી બસના ચાલકે સ્કૂટરને હડફેટે લેતા સ્કૂટર ચાલક વૃધ્ધને ઇજા પહોચતા તેમનું મોત થયું હતું. પોરબંદરના ઝુરીબાગ શેરી નંબર 15માં રહેતા સાંગાભાઇ આવડાભાઇ મકવાણા નામના 63 વર્ષીય વૃધ્ધ તા.2/2ના રોજ GJ-25-S-9945નું સ્કૂટર લઇને ઘરેથી વનાણા કમળના ફુલ લેવા જતા હતાં તે દરમ્યાન ધરમપુરના પાટીયા પાસે હાઇવે સામે જાહેર રોડ પર પહોચ્યા ત્યારે માતૃકૃપા ટ્રાવેલ્સ બસ રજી.નં. GJ-03-BY-3303ના ચાલકે માનવ જીંદગી જોખમાય તે રીતે જાહેર રોડ પર પોતાનું વાહન બસને બેફીકરાઇથી ચલાવી સ્કૂટર સાથે વૃધ્ધને હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો જેમાં સ્કૂટર ચાલક વૃધ્ધને માથાના તથા શરીરે ગંભીર ઇજાઓ પહોચતા તેમનું મોત થયું હતું. વૃધ્ધના પુત્ર હિરાભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે બસ ચાલક સામે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી ઉદ્યોગનગર પોલીસ ચલાવી રહી છે.
આદેશ:આજ થી 8 દિ' સુધી ઓડદર પોલીસ ફાયરીંગ બટ વિસ્તારમાં પ્રવેશબંધ
પોરબંદરના ઓળદર ગામે આજ થી 8 દિવસ સુધી ઓડદર પોલીસ ફાયરીંગ બટ વિસ્તારમાં પ્રવેશબંધી મુકવામાં આવ્યો છે.ઓળદર ખાતે દીવ પોલીસ તથા ઇન્ડીયન રીઝર્વ બટાલીયનના કર્મચારીઓની ફાયરીંગ પ્રેકટીસ હોવાથી પ્રતિબંધ મુકાયો છે. પોરબંદર જિલ્લાના ઓડદર પોલીસ ફાયરીંગ બટ વિસ્તારમાં દીવ જીલ્લાના પોલીસ કર્મચારીઓ તથા ઇન્ડીયન રીઝર્વ બટાલીયનના કર્મચારીઓની ધ્વારા ફાયરીંગ પ્રેકટીસ હોવાથી પોરબંદર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રેખાબા સરવૈયા દ્વારા તા.10.02.2026 થી તા.17.02.2026 ના કુલ દિવસ-08(આઠ) માટે સમય 07.00 કલાક થી 19.00 કલાક સુધી પોરબંદર તાલુકાના ઓડદર ગામ તરફ રસ્તા નજીક દરિયા કિનારાના ફાયરીંગ બટ વિસ્તારમાં પૂર્વ અને પશ્વિમ ભાગે-600 મીટર, ઉતર અને દક્ષિણ ભાગે-600 મીટર અને ત્યાંથી દરીયામાં આજુબાજુના વિસ્તારના રાહદારીઓને તેમજ વાહનો માટે તથા વ્યકિતગત તેમજ વહાણ,બોટ લઇને જનાર માછીમારોને અવર-જવર કરવા ઉપરોકત સમય દરમ્યાન પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.
તંત્ર નિંદ્રાધીન:લીમડાચોક વિસ્તારમાં શૌચાલય બનાવવાનું કામ 1 વર્ષ બાદ પણ પૂર્ણ ન થયું
પોરબંદરની લીમડાચોક શાકમાર્કેટ ખાતે શાકબલાકુ વેચનાર વેપારીઓ,માર્કેટ આપસાસ ફ્રુટના વેપારીઓ તેમજ કરિયાણા અને અન્ય ચીજો વેચનાર વેપારીઓ તથા સામે ગુજરી બજારમાં કાપડના વેપારીઓ સહિત 500 જેટલા ધંધાર્થીઓ છે. અને લીમડાચોક શાકમાર્કેટ ખાતે વિવિધ વિસ્તારના ગ્રાહકો તેમજ ગ્રામ્ય વિસ્તાર માંથી ગ્રાહકો આવે છે. સવારે 7 વાગ્યાથી સાંજ સુધી ગ્રાહકો આવે છે. અહીં શૌચાલય જર્જરિત થતા નવું શૌચાલય બનાવવાની કામગીરી 1 વર્ષ પહેલા શરૂ કરી હતી અને આ કામગીરી હજુસુધી પૂર્ણ થઈ નથી. અંદાજિત 500 જેટલા વેપારીઓ અને સરેરાશ રોજના 5 હજાર ગ્રાહકોને શૌચાલયના અભાવે હાલાકી વેઠવી પડી રહી છે. માર્કેટ ખાતે ગ્રાહકો સતત આવતા હોય છે ત્યારે વેપારીઓને દૂર સુધી યુરિન કરવા જવું પડે છે. વેપારીઓ થોડા દૂર જાય તો ગ્રાહકો અન્ય જગ્યાએથી ફ્રૂટ કે શાકભાજી ખરીદી લે, જેથી ધંધામાં અસર પડે, આથી સાઇડના ખુણામાં યુરિન માટે ક્ષોભ સાથે ઊભવુ પડે છે. ખાસ કરીને અહીં બહેનો ખરીદી માટે આવતા હોય છે ત્યારે બહેનોને શૌચાલય જવા માટે પણ દૂર સુધી જવું પડે છે તેવું ફ્રૂટના વેપારીઓએ જણાવ્યું હતું.
આયોજન:પોરબંદરમાં 13 ફેબ્રુઆરીએ પ્રિ-સ્ક્રુટિની ટેસ્ટનુ આયોજન
પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા આર્મી, એરફોર્સ, પોલીસ અને સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા જિલ્લાના ઉત્સાહી ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 13.02. 2026ના રોજ સવારે 09:30 કલાકે સાંદિપની મંદિર સામે આવેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, પોરબંદર ખાતે ઉમેદવારોની પ્રિ-સ્ક્રુટિની (પૂર્વ પસંદગી) પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારોની લંબાઈ, ઊંચાઈ, છાતીના માપ તેમજ દોડની કસોટી લેવામાં આવશે, જેમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 30 ઉમેદવારોની નિવાસી તાલીમ માટે પસંદગી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જે ઉમેદવારોએ અગાઉ રોજગાર કચેરી ખાતે નિવાસી તાલીમ માટે રજીસ્ટ્રેશન ફોર્મ ભરેલા છે તેઓએ આ કસોટીમાં હાજર રહેવાનું રહેશે. સાથોસાથ, જે ઉમેદવારોએ હજુ સુધી રજીસ્ટ્રેશન કરાવ્યું નથી પરંતુ સંરક્ષણ દળોમાં જોડાવા ઈચ્છુક છે, તેઓ પણ નિયત તારીખ અને સ્થળે જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહી આ પસંદગી પ્રક્રિયામાં સીધો ભાગ લઈ શકશે.જેથી આ ટેસ્ટનો લાભ લેવા પણ અપીલ કરવામાં આવી છે.
આત્મહત્યા:ઝૂરીબાગમાં રહેતા યુવાને ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી
પોરબંદરના ઝુરીબાગ શેરી નંબર 4માં રહેતા એક યુવાને કેન્સરની બીમારીથી કંટાળી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા આ યુવાનનું મોત નિપજ્યું છે. તેમના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે. પોરબંદરના ઝુરીબાગ શેરી નંબર 4માં રહેતા દેવેન્દ્ર હરીશભાઈ મકવાણા નામના 44 વર્ષીય યુવાને ગત તા. 8 ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા આ યુવાનનું મોત થયું છે. આ યુવાન છેલ્લા પાંચેક માસથી કેન્સરની બીમારીથી પીડાતો હતો અને કેન્સરની બીમારીથી કંટાળી આ યુવાને આપઘાત કર્યો હોવા અંગે ભાવસિંહજી હોસ્પિટલના ડો. નિલેશ મકવાણાએ પોલીસ ચોપડે જાહેર કર્યું છે. આ યુવાનના આપઘાતના પગલે તેમના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે. વધુ તપાસ કમલાબાગ પોલીસ ચલાવી રહી છે.
જાહેરનામું:જિલ્લાભરમાં આંદોલન, દેખાવ, વિરોધ પ્રદર્શન, રેલી કે સરઘસ કાઢી શકાશે નહીં
પોરબંદર જિલ્લામાં આગામી 10 થી 23 ફેબ્રુઆરી સુધી આંદોલન, દેખાવ, વિરોધ પ્રદર્શન, રેલી કે સરધસ કાઢવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.જે અંગે જાહેરનામું પણ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે અને પોલીસની કામગીરીમાં મદદરૂપ થઇ શકે તે માટે પોરબંદર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રેખાબા સરવૈયા દ્વારા સમગ્ર પોરબંદર જિલ્લા વિસ્તારમાં તા.10.02.2026 થી તા.23.02.2026 સુધી બંને દિવસો સહિતની મુદત માટે આંદોલન, દેખાવ, વિરોધ પ્રદર્શન, રેલી કે સરધસ કાઢવા મનાઇ ફરમાવવામાં આવી છે. આ હુકમ સક્ષમ અધિકારીની કાયદેસરની પરવાનગી લઈને કાઢેલા સરઘસ સહિતના કાર્યક્રમો, ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષક મંડળી, સરકારની નોકરીએ અવરજવર કરતી હોય તેવી વ્યકિત, લગ્નનો વરઘોડો તથા સરકાર તરફથી યોજવામાં આવતા કાર્યક્રમોને લાગુ પડશે નહી.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ખાપટ વિસ્તારમાં ગટર કામગીરી બાદ રસ્તો સમથળ ન થતા હાલાકી
પોરબંદર શહેરના વોર્ડ નં. 2ના ખાપટ વિસ્તારની સોસાયટીઓમાં ચાલી રહેલા ભુગર્ભ ગટર પ્રોજેક્ટના કામકાજમાં બેદરકારી દાખવવામાં આવી રહી છે. સ્થળ પર જેસીબી દ્વારા આડેધડ રોડ અને ગલીઓ ખોદવામાં આવ્યા બાદ પાઈપ નાખતી વખતે યોગ્ય લેવલિંગ રાખવામાં આવ્યું નથી તેમજ નીચેના ભાગે સિમેન્ટ કોન્ટ્રકટ કરવામાં આવતું નથી. પરિણામે પાઈપ તૂટવાની અને ભવિષ્યમાં મોટા પાયે લીકેજ સર્જાવાની ભયજનક સ્થિતિ સર્જાઈ શકે છે. હાલમાં બનાવવામાં આવી રહેલા ગટર ચેમ્બરોની ગુણવત્તા પર સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા હતા. જો ગટરના ચેમ્બરમાં યોગ્ય કામગીરી નહીં થાય તો બોરના પાણી પણ ગંદા થશે તેવી સ્થાનિકો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ગંદા પાણી બોરના પાણીમાં ભળી જશે તો પાણી પીવા લાયક તો દૂર, રોજિંદા ઉપયોગ માટે પણ અયોગ્ય બની શકે છે. આ ઉપરાંત ખાપટ વિસ્તારમાં જ્યાં જ્યાં ગટરના કામ પૂર્ણ થયા છે ત્યાં રોડ અને રસ્તાઓને સમતળ કરવામાં આવ્યા નથી. જેના કારણે બાળકો, મહિલાઓ અને સિનિયર સિટીઝનોને ચાલવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનચાલકોને પણ રોજબરોજ અવરજવર કરવામાં તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ટેમ્પરરી ડામર અથવા ડસ્ટ-કાંકરી પાથરવી જરૂરીખાપટ વિસ્તારમાં જ્યાં ભૂગર્ભ ગટરના ખોદકામ કર્યું છે ત્યાં તાત્કાલિક ધોરણે રસ્તાઓ પર ટેમ્પરરી ડામર અથવા ડસ્ટ-કાંકરી પાથરીને સમતળ બનાવવામાં આવે તો નાગરિકોને રાહત મળી શકે અને અકસ્માતોની શક્યતા ઘટી શકે તેમ છે.
ફરિયાદ:કોવાયામાં સસ્પેન્ડેડ ગ્રામ પંચાયતના સભ્યે આધેડને લાકડી વડે માર માર્યો
રાજુલાના કોવાયામાં ગ્રામ પંચાયતના સસ્પેન્ડેટ સભ્યે આધેડને લાકડી વડે માર માર્યો હતો. અહીં બે શખ્સઓે આધેડને મારમારી ઝપાઝપી કરી હતી. આ દરમિયાન સોનાની માળા તુટી ગઈ હતી. આ અંગે મરીન પીપાવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. રાજુલાના કોવાયામાં ભગતશેરીમાં રહેતા દુલાભાઇ સાર્દુળભાઇ લાખણોત્રા (ઉ.વ.54)એ નના ઉર્ફે કરણ રામભાઇ વાઘ અને જીણા સાદુળભાઇ વાઘ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે નના ઉર્ફે કરણ વાઘ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સભ્ય પદ પર હતા. પરંતુ દોઢેક વર્ષ પહેલા ડ્રગ્સ કેસમાં પકડાતા સભ્યના પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. જે વાતનો ખાર રાખી દુલાભાઈ લાખણોત્રાને નના ઉર્ફે કરણ વાઘે બેફામ ગાળો આપી લાકડી વડે માર માર્યો હતો. તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. આ ઉપરાંત જીણા વાઘે તેને અપશબ્દો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ ઝપાઝપી કરી હતી. આ ઝપાઝપીમાં દુલાભાઈએ પહેરેલી સોનાની માળા તુટી ગઈ હતી. તેમજ નના ઉર્ફે કરણ વાઘે તેને મારી નાખવાની ધમકી આપી હતી. મરીન પીપાવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા એએસઆઈ એચ.એલ.રાઠોડ વધુ તપાસ ચલાવી રહ્યા છે.
સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, લીલીયા દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના (NSS) હેઠળ તા.3 થી તા.9 દરમિયાન સાત દિવસીય NSS વાર્ષિક વિશેષ શિબિરનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. શિબિરનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સેવા ભાવના, સામાજિક જવાબદારી, શિસ્ત, સંસ્કાર તથા રાષ્ટ્રનિર્માણના મૂલ્યો વિકસાવવાનો હતો. ઉદ્ઘાટન પ્રસંગે લીલીયા સરકારી કોલેજના આચાર્ય ડૉ. રાજેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, NSS વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકની બહાર જઈ સમાજને નજીકથી સમજવાની તક આપે છે. સેવા દ્વારા વ્યક્તિત્વ વિકાસ શક્ય બને છે. તેમણે વિદ્યાર્થીઓને સમાજહિત માટે સક્રિય રીતે જોડાવા પ્રેરણા આપી હતી. ઉલ્લેખનીય છે કે, ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ગોઢાવદરના પૂર્વ સરપંચ વિજયભાઈ ગજેરા ઉપસ્થિત રહ્યા હતા. શિબિર દરમ્યાન NSS સ્વયંસેવકો દ્વારા વિવિધ લોકહિતકારી અને જાગૃત્તિસભર પ્રવૃત્તિઓ યોજવામાં આવી. જેમાં ગ્રામ સફાઈ અભિયાન, શ્રમદાન, સ્વચ્છતા જાગૃતિ, વ્યસનમુક્તિ અભિયાન, આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ, યોગ અને શારીરિક તંદુરસ્તી સત્ર, પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ, માર્ગ સુરક્ષા સલામતી તથા વિવિધ વ્યાખ્યાન સત્રો સમાવિષ્ટ છે. શિબિર દરમિયાન વિદ્યાર્થીઓએ પ્રભાત ફેરી યોજીને શાંતિનો સંદેશ પ્રસારિત કર્યો હતો. શિબિરના સમાપન પ્રસંગે ગોઢાવદર પ્રાથમિક શાળા આચાર્ય વર્ષાબેન જોષી, દાતા લાલજીભાઈ ભુવા, સુરેશભાઈ ગજેરા, NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. વિરાજબેન રાઠોડ સહિતના સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
સેવાયજ્ઞ:સાવરકુંડલા માનવ મંદિર આશ્રમે 130મી મનોરોગી મહિલા સાજી થઈ પરિવારને મળી
સાવરકુંડલાના માનવ મંદિર આશ્રમમાં મનોરોગી મહિલાઓની સેવા કરવામાં આવી રહી છે. આ સેવા દરમિયાન જો કોઈ મહિલા સાજી થઈ જાય તો તેના પરિવારને ફરી સોંપી દેવામાં આવે છે. આજે 130મી મહિલા અહીં સાજી થતા તેના પરિવારને કબજો સોંપાયો હતો. સાવરકુંડલાના હાથસણી રોડ ઉપર માનવ મંદિર મનોરોગી આશ્રમ આવેલો છે. જ્યાં છેલ્લા 13 વર્ષથી ભક્તિ બાપુ વિનામૂલ્યે દવા દુઆને હવાના માધ્યમથી મનોરોગી બહેનોને પુનઃ જીવન પ્રાપ્ત કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજે માનવ મંદિર આશ્રમે 130મી મનોરોગી બહેન સાજી થઈ જતા તેમના પરિવારને જાણકારી મોકલતા તેમના પિતા આજે માનવ મંદિરે આવી તેમની દીકરીને તેડી ગયા હતા. તારીખ 26 12 2023ના રોજ રાજકોટના માધાપર ગામની મનોરોગી મહિલાને માનવ મંદિરે પ્રવીણભાઈ ગગજીભાઈ ડોડીયા તેમજ અશ્વિનભાઈ ડોડીયા મૂકી ગયા હતા. આજે આ મહિલાને તેના પિતાજી રાજકોટના માધાપર ગામે રહેતા હોય તેમને જાણ કરવામાં આવતા તેઓ આજે માનવ મંદિરે આવી અને પોતાની દીકરીને તેડી ગયા હતા. માનવ મંદિર આશ્રમએ છેલ્લા 13 વર્ષથી અમરેલીના પ્રખ્યાત મનોચિકિત્સક ડોક્ટર વિવેક જોશી સારવાર કરે છે. માનવ મંદિર આશ્રમનું વાતાવરણ અને ભક્તિ બાપુની ભગવાન રામચંદ્રજી ઉપરની અદભુત શ્રદ્ધાના કારણે અહીંયા આજ સુધીમાં 130 બહેનો સાજી થઈ ગઈ છે હાલમાં 58 જેટલી મનોરોગી બહેનો આશ્રમમાં છે.
કરૂણાંતિકા:અમરેલીના માલવણમાં ઘઉંનો પાક નિષ્ફળ જતા યુવકે ઝેરી ટીકડા ખાઇ લેતા મોત થયું
અમરેલી તાલુકાના માલવણમાં ઘઉંનો પાક નિષ્ફળ જવાથી 40 વર્ષિય યુવકે ઝેરી ટીકડા ખાય લેતા મોત નિપજ્યું હતું. આ અંગે અમરેલી તાલુકા પોલીસ મથકમાં મૃતકના ભાઈએ જાણ કરી હતી. અમરેલીના માલવણમાં રહેતા વિક્રમભાઈ નાજાભાઈ છૈયાએ પોલીસને જણાવ્યું હતું કે વનરાજભાઇ નાજાભાઇ છૈયા (ઉ.વ.40) ખેતમજુરી કરે છે. ચોમાસાંમાં સીંગના પાકમાં ઓછો ઉતારો આવ્યો હતો. ત્યારબાદ શિયાળામાં ઘઉંનો પાક નિષ્ફળ ગયો છે. જેના કારણે મનમાં લાગી આવતા વનરાજભાઈ છૈયાએ 7 ફેબ્રુઆરીના રોજ સાંજના છએક વાગ્યે માલવણ ગામની સીમમાં ઝેરી ટીકડા ખાય લીધા હતા. જેના પગલે તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન વનરાજભાઈ છૈયાનું મોત નિપજ્યું હતું. આ અંગે અમરેલી તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા હેડ કોન્સ્ટેબલ કે.એચ.ટીલાવત વધુ તપાસ ચલાવી રહ્યા છે.
સાવરકુંડલા વિધાનસભા સીટમાં 7 હજાર જેટલા મતદારોના નામ યાદીમાંથી કમી કરવા માટે ફોર્મ નંબર 7 ભરાયાનો વિવાદ હવે ચરમ સીમા પર છે અને જે 45 લોકોએ આ ફોર્મ ભર્યા હતા. તે પૈકી સેંજળના સરપંચે પોતાના નામે 58 લોકોના ફોર્મ બોગસ સહિથી ભરાયાનું જણાવ્યું છે. 45 લોકો પૈકી હજુ કેટલાક લોકોમાં પોતાના નામે ફોર્મ ભરાયાનો કચવાટ હોય તેઓ પણ તંત્ર પાસે રજૂઆત માટે આવે તેવી ઘડીઓ ગણાય રહી છે. સાવરકુંડલા વિસ્તારમાં જ નામ રદ કરવા માટે જે 7 હજાર ફોર્મ ભરાયા છે. તે ફોર્મ નંબર 7 માત્ર 45 લોકો દ્વારા ભરવામાં આવ્યા છે. જુદા જુદા કારણો રજુ કરી આ 45 લોકોએ જે તે મતદારનું નામ યાદીમાંથી કમી કરવા અરજી કરી છે. આ 45 લોકો પૈકી સેંજળ ગામના સરપંચ નરેશભાઈ ખુમાણે ગઈકાલે પ્રાત ઓફિસે પહોંચી પોતાના નામનો દૂર ઉપયોગ થયાનો જણાવી આ મુદ્દે સોગંદનામુ કર્યું હતું. તેમણે તંત્રને જણાવ્યું હતું કે પોતે કોઈ જ ફોર્મ નંબર 7 ભર્યું નથી. તેના નામની ખોટી સહિ કરી તંત્ર સમક્ષ આ ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે. પોતાના નામે કોઈએ ખોટા ફોર્મ ભરી પ્રાંત ઓફિસમાં જમા કરાવ્યા હોય આવુ કૃત્ય કરનાર સામે તેમણે કાનુની પગલાં લેવા માટે માંગ કરી છે. એટલું જ નહી પોતાના નામે જે 58 લોકોના નામ ફોર્મ રદ કરવા અરજી કરાય હતી તે 58 લોકોની યાદી પણ તેણે તંત્ર સમક્ષ રજુ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દૂધાતે આ મામલો હાઈકોર્ટમાં લઈ જવાની ચિમકી ઉચ્ચારી છે. તેમણે પ્રાંત અધિકારી સમક્ષ આ અંગે ગુનો નોંધવા પણ માંગ કરી હતી. સમગ્ર મામલો કાનુની પ્રક્રિયામાં ફસાવા જઈ રહ્યો હોય હજુ વધુ કેટલાક લોકો પોતાના નામની ખોટી સહિથી આવા ફોર્મ રજુ થયાની વાત તંત્ર સમક્ષ લઈ જવા તૈયાર થયા છે. આગામી એક –બે દિવસમાં આવા વધુ કેટલાક લોકો સામે આવશે. આ 45 લોકોના નામે ફોર્મ રજૂ થયાજે 45 લોકોના નામે ફોર્મ નંબર 7 રજુ કરાયું છે. તેમાં લલીતભાઈ મારૂ, નગ્માબેન જાખરા, કેશવ બગડા, અનિલભાઈ ગોહિલ, મેહુલભાઈ કળથીયા, પ્રતિકભાઈ નાકરાણી, પરાગભાઈ ત્રિવેદી, મેહુલભાઈ ત્રિવેદી, ચેતન પરમાર, હિરન પરમાર, સબ્બીર મલેક, હર્ષદભાઈ પરમાર, કુલદીપ કોટીલા, ભાવેશ કવા, અશોક ચૌહાણ, શિવાંગ ત્રિવેદી, જીજ્ઞેશ ટાંક, અનિરૂદ્ધ રાઠોડ, રાજુ નાગરેચા, પ્રવિણભાઈ સાવજ, કેશુભાઈ વાઘેલા, પ્રણવ વસાણી, ભાઈલાલ જયાણી, મથુર મકવાણા, શરદ પંડયા, ઋત્વીક ગોંડલીયા, નિખીલ ઘેલાણી, સંદીપ ભટ્ટ , મોહિત સુદાણી, વિપુલ શિંગાળા, મનસુખભાઈ મોલડીયા, મહેશભાઈ ભાલાળા, દિપકભાઈ મકવાણા, જીવન વેકરીયા, કમલેશભાઈ કાનાણી, કરશનભાઈ આલ, રજાક ભટ્ટી, હેમાંગ ગઢીયા, હરપાલ રાઠોડ, અશોક રૂપારેલીયા, શિવરાજભાઈ મૈત્રા, ભોળાભાઈ ઢોલળીયા, યોગેશભાઈ ખુમાણ, નરેશભાઈ ખુમાણ અને જયેશ મહેતાનો સમાવેશ થાય છે. સરપંચના નંબરને બદલે કાર્યાલયનો નંબર આપ્યો સેંજળના સરપંચ નરેશભાઈ ખુમાણની બનાવટી સહિથી 58 ફોર્મ ભરાયા હતા. જે તમામમાં સરપંચનો મોબાઈલ નંબર લખવાને બદલે ધારાસભ્યના કાર્યાલયનો લેન્ડલાઈન નંબર સંપર્ક તરીકે અપાયો છે.
આરોગ્યસેવાઓ માટે મોટી સિદ્ધિ:વિશ્વની શ્રેષ્ઠ હોસ્પિટલોની યાદીમાં AIIMS દિલ્હીને છઠ્ઠું સ્થાન મળ્યું
ભારતીય આરોગ્ય ક્ષેત્ર માટે ગૌરવભરી ક્ષણ છે. બ્રાન્ડ ફાઈનાન્સ 2026 ગ્લોબલ ટોપ 250 હોસ્પિટલ રેન્કિંગમાં વિશ્વની શ્રેષ્ઠ હોસ્પિટલોની યાદીમાં AIIMS દિલ્હીને છઠ્ઠું સ્થાન મળ્યું છે, જે ભારતીય સરકારી આરોગ્યસેવાઓ માટે મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે.આ યાદીમાં ભારતનું બીજું નામ ટાટા મેમોરિયલ સેન્ટર, મુંબઈ છે, જેને 13મું સ્થાન મળ્યું છે. કેન્સરની સારવારમાં તેની વિશેષતા માટે તેને વૈશ્વિક માન્યતા મળી છે. આ રેન્કિંગ વિશ્વની પ્રતિષ્ઠિત હોસ્પિટલ બ્રાન્ડ્સનું મૂલ્યાંકન કરે છે, જેમાં સારવારની ગુણવત્તા, સંશોધન, દર્દી સંતોષ અને બ્રાન્ડ વિશ્વસનીયતા જેવા માપદંડો સામેલ છે. AIIMSનું ટોપ-10માં સ્થાન મેળવવું એ દર્શાવે છે કે ભારતની જાહેર આરોગ્ય વ્યવસ્થા હવે વૈશ્વિક સ્તરે મજબૂત સ્પર્ધા આપી રહી છે. અમેરિકા ટોચ પર, ભારતની મજબૂત હાજરી | 2026ની યાદીમાં જૉન્સ હૉપકિન્સ મેડિસિનને પ્રથમ સ્થાન મળ્યું છે. તેની પાછળ અન્ય વૈશ્વિક પ્રતિષ્ઠિત સંસ્થાઓ છે. AIIMS અને ટોચની હોસ્પિટલ વચ્ચેનો તફાવત બહુ ઓછો હોવો પણ ભારત માટે હકારાત્મક સંકેત છે. ટોપ હોસ્પિટલ્સ 1. જૉન્સ હૉપકિન્સ મેડિસિન (અમેરિકા) 2. મેયો ક્લિનિક (અમેરિકા) 3. ક્લીવલૅન્ડ ક્લિનિક (અમેરિકા) 4. મેસાચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલ (અમેરિકા) 5. ટોરોન્ટો જનરલ હોસ્પિટલ (કેનેડા) 6. AIIMS, દિલ્હી (ભારત)
કાર્યવાહી:503 કંપનીને ગેરરીતિ બદલ 22 કરોડ દંડ, ભર્યા 9 હજાર!
ગુજરાતની 503 કંપનીને છેલ્લા સાત વર્ષ દરમિયાન ઓડિટ રિપોર્ટ, રિટર્ન ફાઈલ કરવા જેવી બાબતોમાં ગેરરીતિ આચરવા બદલ 22 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, પરંતુ તેની સામે તેમની પાસેથી અત્યાર સુધીમાં માત્ર 9 હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. કેન્દ્ર સરકારે સંસદમાં આપેલી માહિતી મુજબ, 2019-20થી 2024-25 દરમિયાન દેશમાં 5233 કંપનીને કુલ 331 કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો હતો, પરંતુ તેની સામે માત્ર 19% એટલે કે 65 કરોડ રૂપિયાની જ વસૂલાત કરાઇ છે. દેશમાં સૌથી ઓછો દંડ ભર્યો હોય તેમાં ગુજરાતની કંપનીઓ સૌથી આગળ છે. જ્યારે સૌથી વધુ દંડ થયો હોય તેમાં ગુજરાત પાંચમા ક્રમે છે. સૌથી વધુ દંડ બાબતે ગુજરાત દેશમાં 5મું રાજ્ય કંપની દંડ વસૂલાત મહારાષ્ટ્ર 701 52.85 14.83 કર્ણાટક 756 46.11 17.45 તમિલનાડુ 406 39.91 3.60 ઉ.પ્રદેશ 183 29.44 0.81 ગુજરાત 503 22.09 0.009 ભારત 5233 331.12 64.90 (2016-17થી 2024-25ના આંકડા કરોડમાં) કંપની એક્ટ 2013ની વિવિધ જોગવાઈઓનું ઉલ્લંઘનકંપની એક્ટ 2013ની વિવિધ જોગવાઇ- ઓડિટ રિપોર્ટ, વાર્ષિક રિટર્ન ફાઇલ ન કરવું, બોર્ડની કમિટીમાં ભૂલો જેવી બાબતોમાં ગેરરિતી બદલ દંડ કરાય છે. દેશમાં 2 લાખ કંપની બંધ2020-21થી 2024-25(ડિસેમ્બર 2025 સુધી) દરમિયાન દેશમાં 2.03 લાખ કંપની વિવિધ કારણોસર બંધ થઇ છે. કંપની એક્ટના સેક્શન 248(1) એટલે કે રજિસ્ટ્રાર ઑફ કંપની દ્વારા ગેરરીતિ બદલ કંપની બંધ કરવામાં આવે છે. તેવી 97,415 કંપની છે. સેક્શન 248(2) એટલે કે કંપની દ્વારા દેવું થઇ જતા તે પોતે બંધ કરી દે છે. દેશમાં આવી 1.05 લાખ કંપની બંધ થઇ છે.
આયોજન:પહેલીવાર ગીતાર્થ ગંગામાં 50 હજાર ગ્રંથ, 4 લાખ પાનાંની હસ્તપ્રતનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું
ભારતીય શાસ્ત્રોની અખંડ પરંપરા અને જ્ઞાનપ્રવાહને સંરક્ષિત રાખવા માટે ગીતાર્થ ગંગા સંસ્થા એક સુવ્યવસ્થિત, વૈજ્ઞાનિક અને દીર્ઘદૃષ્ટિપૂર્ણ માળખું વિકસાવી રહી છે. શાસ્ત્રોના માત્ર સંગ્રહ કે પુનર્મુદ્રણથી આગળ વધી, સંસ્થા અનુવાદ, ટીકા-વ્યાખ્યા, સમીક્ષાત્મક સંપાદન અને ડિજિટલ ડોક્યુમેન્ટેશન જેવા ક્ષેત્રોમાં સક્રિય કાર્ય કરી રહી છે. આ દિશામાં 108 મુખ્ય વિષયો અને આશરે 15,000 ઉપવિષયો આવરી લેતી એક વ્યાપક શાસ્ત્રીય વિશ્વકોશ રચવાની પ્રક્રિયા ચાલી રહી છે. શાસ્ત્રીય જ્ઞાન વિવિધ ગ્રંથોમાં વિખરાયેલું હોવાને કારણે અભ્યાસ અને સંશોધનમાં આવતી અડચણોને દૂર કરવા માટે ગીતાર્થ ગંગાએ વિષયવાર કોડિંગ અને પરસ્પર સંદર્ભ જોડાણની અનોખી પદ્ધતિ અપનાવી છે. ભારતીય જ્ઞાનપરંપરાને આધુનિક સંશોધન પદ્ધતિ સાથે જોડતી આ પહેલ આવનારી પેઢીઓ માટે મજબૂત આધાર તૈયાર કરી રહી છે. ચુસ્ત ડિજિટાઈઝેશન પ્રક્રિયાગીતાર્થ ગંગામાં ગ્રંથોને ડિજિટલ બનાવવાની પ્રક્રિયા અત્યંત કડક ધોરણો હેઠળ થાય છે. વિવિધ પ્રકાશકોમાંથી ઉપલબ્ધ આવૃત્તિઓની તુલના કરીને શ્રેષ્ઠ ગ્રંથ પસંદ કરવામાં આવે છે. ત્યારબાદ દરેક પાનાની ડેટા એન્ટ્રી અને બહુસ્તરીય પ્રૂફરીડિંગ થાય છે. 100 પાનામાં બે ભૂલ પણ મળી આવે, તો આખો ગ્રંથ ફરી તપાસવામાં આવે છે. આ પ્રક્રિયાએ સંસ્થાને લગભગ સંપૂર્ણ ચોકસાઈ પ્રાપ્ત કરવામાં મદદ કરી છે. અત્યાર સુધીમાં 1,025થી વધુ ગ્રંથો અને લગભગ બે લાખ પાનાં ડિજિટલ સ્વરૂપે તૈયાર થઈ ચૂક્યા છે. વિષય કોષ અને સંશોધન પર્યાવરણગીતાર્થ ગંગાની એક મહત્વપૂર્ણ સિદ્ધિ ‘વિષય કોષ’ છે, જે તૈયાર થઈ રહેલું શાસ્ત્રીય વિશ્વકોશ છે. તેમાં દરેક વિષયને વ્યાખ્યા, ઉત્પત્તિ, લક્ષણો અને પર્યાયવાચી શબ્દો સહિત 8 વિશ્લેષણાત્મક પાસાઓ હેઠળ રજૂ કરવામાં આવે છે. લાઇબ્રેરીમાં 1.5 લાખથી વધુ પુસ્તકો અને ઇ-બુક્સ ઉપલબ્ધ છે, જેમાં પરંપરાગત શાસ્ત્રો સાથે આધુનિક વિષયોનું સાહિત્ય પણ સામેલ છે. ગીતાર્થ ગંગાએ અત્યાર સુધી કરેલું કામ
બોર્ડની પરીક્ષા:આ વખતે શહેરમાં 6331 અને ગ્રામ્યમાં 5927 વિદ્યાર્થીઓ વધ્યા
અમદાવાદ શહેરમાં બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર કરાયો છે. ધોરણ 10 અને 12માં શહેરમાંથી 95688, જ્યારે ગ્રામ્યમાંથી 78180 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે નોંધાયા છે. પહેલીવાર અમદાવાદ ગ્રામ્યમાં એક સાથે 2 પરીક્ષા કેન્દ્રોની સંખ્યામાં વધારો કરાયો છે. કાસીન્દ્રા અને સિમેજમાં બોર્ડની પરીક્ષા માટે નવા પરીક્ષા કેન્દ્રની મંજૂરી અપાઈ છે. ગયા વર્ષ સરખામણીમાં અમદાવાદ શહેરમાં 6331, જ્યારે ગ્રામ્યમાં 5927 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપનારા વધ્યા છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, પરીક્ષા કેન્દ્રોના રોડ પર અધિકારીઓને ચેક કરવાની સુચના આપી છે. પરીક્ષા કેન્દ્રો પર હોલ ટિકિટની કોપી રાખવા સંચાલકોને સૂચના અપાઈદરેક વિદ્યાર્થીઓની એક હોલ ટિકિટની કોપી પોતાની પાસે પણ રાખે. કોઇ વિદ્યાર્થી ભુલી જાય છે તો એ સ્થિતીમાં ફોટો કોપી પરથી એક દિવસ માટે પ્રવેશ આપી શકાશે. બીજા દિવસે અથવા પરીક્ષા પુરી થાય ત્યાં સુધીમાં વાલી લાવીને હોલ ટિકિટ આપી શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને કોઇપણ પ્રકારનો તાણ ન અનુભવાય તે માટેની વ્યવસ્થા કરાઈ છે. - બી. પ્રજાપતિ, ડીઇઓ, અમદાવાદ ગ્રામ્ય અમદાવાદ શહેરમાં ધો.10ની પરીક્ષા આપનારા ઘટ્યા શહેર તફાવત ધોરણ 10 54492 154 ઘટ્યા ધો. 12 આર્ટસ 33044 3318 વધ્યા ધો.12 સાયન્સ 8152 2859 વધ્યા અમદાવાદ ગ્રામ્યમાં વિદ્યાર્થી વધ્યા ધોરણ 10 46440 1922 વધ્યા ધો.12 આર્ટસ 25560 887 વધ્યા ધો.12 સાયન્સ 6180 3118 વધ્યા મેપની લિંક અપાશેઅમદાવાદ ગ્રામ્ય દ્વારા વિદ્યાર્થીઓને સરળતાથી પરીક્ષા કેન્દ્ર મળી રહે અને રોડ બંધ કે ટ્રાફિક જામમાં ન ફસાય તે માટે વિદ્યાર્થીઓને ગુગલ મેપની લિંક શેર કરાશે. ગુગલ લિંકથી સ્કૂલનું સરનામું ચોક્કસ મળી જશે.
અમદાવાદના યુવા કોન્ટેન્ટ ક્રિએટર પાર્થ પરમાર છેલ્લા 10 વર્ષથી સોશિયલ મીડિયા પર ફની અને રિલેટેબલ કોમેડી કન્ટેન્ટ દ્વારા પોતાની અલગ ઓળખ ઉભી કરી રહ્યા છે. વર્ષ 2016માં કોલેજ સમય દરમિયાન મજાક-મશ્કરીમાંથી શરૂ થયેલી તેમની સફર આજે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ સહિત વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ સુધી વિસ્તરી ચૂકી છે. પાર્થ પરમારએ B.E. કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. કોલેજ દરમિયાન લેકચરના ફ્રી સમય અને મિત્રો સાથેની હળવી મજાકને તેમણે કન્ટેન્ટમાં રૂપાંતરિત કરી યુટ્યુબ માટે કોમેડી વિડિયો બનાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં આ માત્ર મનોરંજન માટે હતું, પરંતુ ધીમે ધીમે દર્શકોનો પ્રતિસાદ વધતો ગયો. ત્યારબાદ ટિકટોક પ્લેટફોર્મ આવતા તેમણે શોર્ટ ફોર્મ કન્ટેન્ટ બનાવવાનું શરૂ કર્યું, જેમાં તેમને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો. ખાસ કરીને અમદાવાદના રિવરફ્રન્ટ, પતંગ હોટલ અને શહેરની લોકલ સંસ્કૃતિ દર્શાવતા વિડિયો લોકોમાં ખૂબ લોકપ્રિય થયા. વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે અમદાવાદને દર્શાવતા વિડિયો ભાવનાત્મક જોડાણનું કારણ બન્યા. પાર્થ પરમાર ફની, કોમેડી અને સંપૂર્ણપણે રિલેટેબલ કન્ટેન્ટ પર વધારે ધ્યાન આપે છે.
સમસ્યા:ટેક્સીમાં GPS મીટર લગાવવા ફરમાન પણ કંટ્રોલ યુનિટ નથી
અમદાવાદ સહિત રાજ્યભરમાં ખાનગી ટેક્સી ચાલકોને જીપીએસ મીટર લગાવવાનું ફરમાન તો જારી કરી દેવાયું પરંતુ તેના ઓપરેટર માટે કોઇ કંટ્રોલ યુનિટ ઊભું કરાયું નથી. અમદાવાદ 4.30 લાખ રિક્ષા અને કાર ટેક્સી સર્વિસની સુવિધા ચાલે છે. ત્યારે દરેક ખાનગી ટેક્સી સર્વિસના વાહનોમાં જે વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ પૂરું થઇ ગયું હોય તો તેઓને દિવસ પ્રમાણે 50 રુપિયાનો દંડ ફટકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અધુરામાં પૂરું તો જે જગ્યાએ ફિટનેસ સર્ટિફિકેટ કઢાવવા જવાનું તે સેન્ટર વિરૂદ્ધમાં જ સરકાર દ્વારા ગેરરીતિ અંગેનો કેસ ચાલી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યભરના ટેક્સી ચાલકો માટે તઘલખી ફરમાન જારી કરી દેવાતા મોટાભાગના લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. પહેલા જીપીએસ સિસ્ટમ લગાવવા માટે કોઇ કંપની નક્કી ન હતી. સામાન્ય ગેરેજ પરથી પણ જીપીએસ સિસ્ટમ લગાવી શકાતી હતી. જોકે હવે વાહન વ્યવહાર વિભાગ દ્વારા નિયમ બનાવાયો છે કે સરકાર માન્ય ગેરેજમાંથી જ ફક્ત જીપીએસ મીટર લઇને લગાવી શકાશે. જેથી જીપીએસ મીટરના ભાવમાં પણ ત્રણ ગણાનો વધારો જોવા મળી રહ્યો છે. ફિટનેસ ટેસ્ટ જ્યારે આરટીઓ ખાતેથી થતું હતું ત્યારે ભાવ ઓછો લેવાતો હતો પરંતુ જ્યારથી ખાનગી કંપનીને જવાબદારી સોંપવામાં આવી છે ત્યારથી ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
ખાતમુહૂર્ત:નવી ATS કચેરીમાં સાયબર, ગુપ્તચર અને ફોરેન્સિકની ટીમો પણ હશે: સંઘવી
ગુજરાત ATSની નવી બિલ્ડિંગનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમવારે ખાતમુહૂર્ત કર્યું, સાથે જ બોડકદેવ પોલીસ સ્ટેશન અને અમરાઈવાડી તથા કાગડાપીઠ પોલીસ લાઈન અને એસ.આર.પી જૂથ મળી 200 કરોડથી વધુના કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે, એટીએસની નવી બિલ્ડીંગમાં નવી ટેક્નોલોજી, ઈન્ટેલીજન્સ અને ફોરેન્સીક જેવી સુવિધીઓ પણ મળી રહેશે જેથી ભવિષ્યમાં દેશ વિરોધીઓ સામેના ઓપરેશન વધુ ઝડપી અને પ્રભાવશાળી બનશે. ખાતમુહૂર્ત વખતે નાયબ મુખ્ય મંત્રીએ ATSની ટીમને પાછલાં વર્ષોમાં કરેલા આતંકવાદ વિરોધી ઓપરેશન, ડ્રગ્સ વિરોધી અભિયાન અને કટ્ટરવાદ ફેલાવતા લોકો સામેની કાર્યવાહીને લઈને અભિનંદન પણ આપ્યા હતા. તેમણે દરિયાકાંઠાથી માંડીને છેવાડાના વિસ્તારમાં રહેતા નાગરીકો સુધીની સુરક્ષા વધુ મજબૂત રીતે થશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના તમામ સીનિયર પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (EDની હૈદરાબાદ ઝોનલ ઓફિસે મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA), 2002 હેઠળ અમદાવાદમાં ગેરકાયદે કોલ સેન્ટર રેકેટ સામે મોટી કાર્યવાહી કરી છે. 4 ફેબ્રુઆરી 2026ના રોજ અમદાવાદના 6 સ્થળેથી ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયા હતા. જેમાં અમેરિકાના નાગરિકોને છેતરપિંડી કરવાનો કેસ સામે આવતા કાર્યવાહી કરાઈ છે. EDની તપાસમાં ઓર્ગેનાઇઝ્ડ સાયબર ફ્રોડ અને ઈમ્પરસોનેશન (ખોટી ઓળખ ધારણ કરીને છેતરપિંડી)ના ગંભીર પુરાવા સામે આવ્યા છે. તપાસમાં ખુલ્યું છે કે મોહમ્મદ અંસારી ઉર્ફે મોહદ ઇરફાન અંસારી, અકિબ ગુલામરસુલ ઘાંચી, વિકાસ કે. નિમાર, દિવ્યાંગ રાવલ અને પ્રદીપ વી. રાઠોડ સહિતના આરોપીઓ દ્વારા ગેરકાયદે કોલ સેન્ટરો ચલાવાતા હતા. મુખ્ય આરોપી અકિબ ઘાંચી પાસે આશરે 12 હજાર અમેરિકન ડોલર જેટલી ક્રિપ્ટોકરન્સી મળી હતી. જેને EDના ક્રિપ્ટો વોલેટમાં ટ્રાન્સફર કરી જપ્ત કરવામાં આવી છે. ઉપરાંત રૂ. 13.5 લાખની અચોક્કસ રોકડ પણ મળી હતી. મહત્વના દસ્તાવેજો અને ડિજિટલ ડેટા પણ જપ્ત કરાયા છે. EDએ આરોપીઓ અને તેમની સંસ્થાઓના કુલ 31 બેંક એકાઉન્ટ તેમજ એક બેંક લોકર ફ્રિઝ કર્યા છે.
સુવિધા:ગાંધીધામ–આદિપુર વચ્ચે કામ પૂર્ણ, ટ્રેનોની ઝડપ હવે વધશે
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં ગાંધીધામ–આદિપુર (10.69 કિમી) રેલવે સેક્શનમાં ત્રીજી અને ચોથી લાઈન નાખવાની સાથે આ રૂટ પર ગોપાલપુર નવું રેલવે સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે. એજ રીતે આદિપુર ખાતે ‘વાય’ કનેક્ટિવીટી બનાવવામાં આવી છે જેનાથી મુસાફરોને સમયલાભ મળશે. અમદાવાદ તરફથી આવતી અને ભુજ તરફ જતી ટ્રેનોને હવે ગાંધીધામ લઈ જઈ ત્યાંથી એન્જિન રિવર્સલ કરવાની જરૂર નહીં રહે અને ટ્રેનો સીધી ભૂજ તરફ નિકળી જશે, જેના કારણે અંદાજે 30 મિનિટનો સમય બચશે. સીઆરએસ (કમિશનર ઓફ રેલવે સેફટી) નિરીક્ષણ બાદ આગામી મહિનેથી પેસેન્જર ટ્રેનો નવા રૂટ કનેક્શનથી દોડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ ત્રીજી અને ચોથી લાઈન બિછાવવામાં આવી છે અને સમગ્ર સેક્શનનું ઇલેક્ટ્રિફિકેશન કરવામાં આવ્યું છે. કુલ 17 કિમી ટ્રેક લિંકિંગ, 8 નાના પુલ, અંદાજે 2.60 લાખ ઘન મીટર અર્થવર્ક તેમજ આધુનિક સિગ્નલ અને ટેલિકોમ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. ગાંધીધામ બી કેબિન ખાતે 16 અને આદિપુર યાર્ડમાં 21 નવા પોઇન્ટ્સ અને ક્રોસિંગ સાથે યાર્ડ રીમોડેલિંગ કરાયું છે. ગોપાલપુર સ્ટેશનને આધુનિક માળખા સાથે વિકસાવવામાં આવ્યું છે, જેથી રૂટ ડાયવર્ઝન સરળ બને. આદિપુરનું ‘વાય’ કનેક્શનના કારણે ટ્રેનોનો સંચાલન સમય બચવાની સાથે ઇંધણની બચત થશે. આ માર્ગ કંડલા અને મુન્દ્રા પોર્ટ સાથે જોડાયેલો મહત્વપૂર્ણ માલ પરિવહન કોરિડોર છે અને દર વર્ષે 70થી વધુ મેટ્રીક ટન માલ લોડિંગ ધરાવે છે. ટ્રેકની ક્ષમતા વધતા માલગાડીઓ અને મુસાફર ટ્રેનોનું સંચાલન અસરકારક થઈ શકશે. મુસાફરોને થનાર મુખ્ય ફાયદા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ:સ્ટાફની ડેટા એન્ટ્રી, મતકુટીર અને સામગ્રી તૈયાર કરવા સૂચના
આગામી માર્ચ મહિનામાં રાજકોટ સહિત સાત મહાનગરપાલિકા અને તાલુકા-જિલ્લા પંચાયતના વર્તમાન શાસકોની મુદત પૂર્ણ થઇ રહી છે સાથે જ નવ રચિત જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાઓની ચૂંટણીની તૈયારી માટે સોમવારે રાજ્ય ચૂંટણી આયોગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મહત્ત્વની બેઠક યોજી તમામ જિલ્લામાં ચૂંટણી સ્ટાફની ડેટા એન્ટ્રી પૂર્ણ કરવા, મતકુટીર અને ચૂંટણી સામગ્રી હાથ પર રાખવા સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત નવ રચિત જિલ્લામાં નવા સીમાંકન મુજબ મતદાન મથકો ફાઇનલ કરવા સહિતની બાબતો અંગે સૂચના આપવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીને લઇ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સોમવારે સાંજે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજવામાં આવી હતી. જેમાં સાત મહાનગરપાલિકા તેમજ જિલ્લા-તાલુકા પંચાયતો ઉપરાંત નવ રચિત મહાનગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતોની ચૂંટણી માટે સ્થાનિક તંત્રવાહકોને તૈયારી કરવા સૂચના આપવામાં આવી હતી. ખાસ કરીને નવ રચિત મહાનગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતોને નવા સીમાંકન મુજબ વોર્ડ રચનાને આધારે મતદાન મથક તૈયાર કરવા સહિતની બાબતો અંગે સૂચના આપી કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી હતી. વધુમાં રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તમામ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ચૂંટણી ફરજ માટે સ્ટાફની ડેટા એન્ટ્રી, અવિલોપ્ય શાહીની ઉપલબ્ધી, મતકુટીર તેમજ અન્ય ચૂંટણી સામગ્રીની તૈયારી, ચૂંટણી સામગ્રીની ખરીદી માટે ટેન્ડર પ્રક્રિયા કરવી સહિતની બાબતો અંગે સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. ટૂંક સમયમાં ચૂંટણીની જાહેરાત થાય તેવા સંકેત છે.
રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુસાફરી કરતા હજારો પ્રવાસીઓની સમસ્યાનો હવે અંત આવવા જઈ રહ્યો છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ ‘ભારત ટેક્સી’ (સહકાર ટેક્સી કોઓપરેટિવ લિમિટેડ) સાથે એક મહત્ત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર મુજબ હવે એરપોર્ટ પર જ સહકારી ધોરણે ચાલતી ટેક્સી સેવા ઉપલબ્ધ થશે, જે મુસાફરોને લૂંટતા ખાનગી ટેક્સી ચાલકોથી મુક્તિ અપાવશે. આગામી એકાદ મહિનામાં જ યાત્રિકોને આ સેવાનો લાભ મળશે. રાજકોટ એરપોર્ટ પર હાલમાં દૈનિક અંદાજે 4થી 5 હજાર જેટલા મુસાફરોની અવરજવર રહે છે. રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શહેરથી દૂર હોવાને કારણે મુસાફરોએ ફરજિયાતપણે ટેક્સી કે ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. ઘણીવાર ખાનગી ટેક્સી ચાલકો મનસ્વી ભાડા વસૂલતા હોવાની ફરિયાદો ઉઠતી હતી, પરંતુ હવે ‘ભારત ટેક્સી’ના આગમનથી યાત્રિકોને સરળ અને સસ્તી પરિવહન સેવાનો લાભ મળશે. ‘ભારત ટેક્સી’ એ ડ્રાઈવરોની માલિકીની સહકારી સંસ્થા હોવાથી મુસાફરો માટે સૌથી મોટો ફાયદો એ રહેશે કે, અહીં કોઈ પણ પ્રકારનો વધારાનો ભાવવધારો વસૂલવામાં આવશે નહીં. એટલે કે, પીક અવર્સ કે વરસાદ જેવા સમયે પણ ભાવ એકસમાન અને વાજબી રહેશે. AAI અને ભારત ટેક્સી વચ્ચેના આ કરારમાં રાજકોટ ઉપરાંત વડોદરા, સુરત અને ભુજ એરપોર્ટનો પણ સમાવેશ કરાયો છે. યાત્રિકોને ફાયદા : મુસાફરોએ છુપા ચાર્જ નહીં ચૂકવવા પડે, બુકિંગ સરળ, ગમે તેટલી ભીડ હોય, ભાડું સામાન્ય જ રહેશે ફિક્સ અને પારદર્શક ભાડું | મુસાફરોએ હવે કોઈપણ પ્રકારના છુપા ચાર્જ કે ‘સર્જ પ્રાઈસિંગ’ (વધુ માંગ સમયે વધતું ભાડું) ચૂકવવું નહીં પડે. સરળ બુકિંગ | એરપોર્ટ પરિસરમાં જ ડેસ્ક અને એપ સુવિધા મળવાથી મુસાફરોએ બહાર જઈને રઝળપાટ નહીં કરવી પડે. કનેક્ટિવિટી | એરપોર્ટથી રાજકોટ શહેર કે આસપાસના ગોંડલ, મોરબી જેવા વિસ્તારોમાં જવા માટે સુરક્ષિત પરિવહન મળશે. સર્જ ચાર્જ મુક્ત | ગમે તેટલી ભીડ હોય, ભાડું સામાન્ય જ રહેશે. સુરક્ષા | સહકારી માળખું હોવાથી ડ્રાઈવરોનું પ્રોપર વેરિફિકેશન અને ટ્રેકિંગ થશે. ડિજિટલ પેમેન્ટ | રોકડ ઉપરાંત તમામ પ્રકારના ડિજિટલ પેમેન્ટ સ્વીકારવામાં આવશે.
ફરિયાદ:કાકાએ ભાઈ-ભત્રીજાને વારસાઈ ખેતીની જમીન આપવાના બદલે પત્ની-દીકરાના નામે કરી નાખી
રાજકોટના ત્રંબા નજીક ઢકામાં પટેલ બંધુઓ વચ્ચે કરોડો રૂપિયાની જમીનનો વિવાદ સર્જાતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. કાકાએ ભાઈ-ભત્રીજાને વારસાઈ ખેતીની જમીન આપવાના બદલે પત્ની અને દીકરાના નામે કરી ઠગાઈ આચરતા આજી ડેમ પોલીસ મથકમાં પી.જી.વી.સી.એલ. કંપનીના કોન્ટ્રાક્ટર ભત્રીજાએ સગા કાકા, કાકી અને તેના પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ બનાવમાં રાજકોટના સરધાર ગામે ઓમ હોસ્પિટલની બાજુમાં ભમ્મરિયા વાડી વિસ્તારમાં રહેતા અને પી.જી.વી.સી.એલ.માં કોન્ટ્રાક્ટર તરીકે નોકરી કરતા લલિતભાઈ મનસુખભાઈ ઢોલરિયા (ઉં.વ.36) દ્વારા આજી ડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના સગા કાકા કિશોરભાઈ નરશીભાઈ ઢોલરિયા, કાકી કંચનબેન તથા પિતરાઈ ભાઈ દર્શનના નામ આપ્યા હતા. યુવકે ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના દાદા નરશીભાઈ પરસોત્તમભાઈ ઢોલરિયા(રહે. સરધાર ગામ) ના નામે ત્રંબા નજીક ગઢકા ગામની રે.સ.નં.266 કાદીવાળું તરીકે ઓળખાતી જમીન આવેલી છે. જે જમીન તેના કાકા કિશોરભાઈના નામે કરવાની હતી, ગામમાં જ આવેલી અન્ય જમીન રે.સ.નં.268 પૈકીની જમીન જે તેના કાકા કિશોરભાઈના નામની હોય તે જમીનનો ભાયુભાગ પાડવાનું તા.28/10/2022માં પંચરોજ કરીને કાકાના ઘરે જ નક્કી કરાયું હતું. આ રે.સ.નં.268 પૈકીની જમીનના 66 ટકા ભાગની જમીન તેના પિતા મનસુખભાઈના નામે કરવાની હોય અને કાદીવાળું તથા આ જમીનમાંથી 33 ટકા ભાગ કાકાને આપવાનું નક્કી કરાયું હતું. કાકાએ યુવકના દાદાના નામનું કાદીવાળું નામે ઓળખાતી જમીન તથા વારસાઈ જમીન નામે કરી લઇ પુત્ર અને પત્નીના નામે ચડાવી દઈ પિતા તથા ફઈનો હક પચાવી પાડ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નાનાભાઈએ મોટાભાઈને જમીનમાં ભાગ આપવાની ના કહી દીધીએક જમીન પત્ની અને પુત્રના નામે કરાવી લેતા જમીનમાં નક્કી કરેલો 66 ટકા હિસ્સો માગવા મોટા ભાઈનો પરિવાર આવ્યો ત્યારે નાનાભાઈએ બહાનું બતાવીને કહ્યું, દાદાના નામનું કાદીવાળું મારા નામે થઇ જાય પછી તમારો હિસ્સો આપી દઈશ પણ અંતે બંને જમીન પચાવી લઇ હિસ્સો આપવાની ના કહી ઠગાઈ આચરી હતી. મોટા ભાઈએ 8 વીઘા જમીન જતી કરી દીધી હતીપટેલબંધુ વચ્ચેના જમીન વિવાદમાં બે ભાઈઓ વચ્ચે બે જમીનમાં સમાન હિસ્સો કરવાની વાત આવી ત્યારે 8 વીઘા જમીન જે કાદીવાળું તરીકે ઓળખાતી હતી તે બંને ભાઈઓના પિતાના નામની જમીન હતી. જેમાં મોટા ભાઈએ મોટપ બતાવી ઘરમેળે પંચરોજ કાર્ય કરી જમીન નાનાભાઈને જતી કરી દીધી હતી. બાદમાં અન્ય જમીનમાં પણ 33 ટકા હિસ્સો નાનાભાઈને આપવાનું નક્કી કરાયું હતું. પણ એ જમીનમાં પણ નાનાભાઈએ કારીગરી કરી મોટાભાઈના નામે કરવાના બદલે પોતાની પત્ની અને પુત્રના નામે કરાવી લઇ મોટા ભાઈ સાથે દગો કર્યો હતો.

25 C