SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

26    C
...

ભાવનગરમાં શ્રી કૈવલ્યાનંદ સ્વામી દેરી ખાતે બટુક ભોજન યોજાયું:500થી વધુ બાળકોએ ભોજનનો લાભ લીધો

ભાવનગરના કૃષ્ણનગર દેરીરોડ વિસ્તારમાં આવેલા શ્રી કૈવલ્યાનંદ સ્વામી મહારાજ (દેરીદાદા)ની દેરી ખાતે બટુક ભોજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 500થી વધુ બાળકોએ ભોજનનો લાભ લીધો હતો. દેરીરોડ મિત્ર મંડળ દ્વારા દર વર્ષે ચૈત્ર સુદ બીજના દિવસે આ બટુક ભોજનનું આયોજન થાય છે. આ કાર્યક્રમમાં બાળકોને ભોજન ઉપરાંત ગિફ્ટ અને આઈસ્ક્રીમ પણ આપવામાં આવે છે. શ્રી કૈવલ્યાનંદ સ્વામી મહારાજની આ દેરીનો જીર્ણોદ્ધાર વર્ષ 2001માં કરવામાં આવ્યો હતો. ત્યારથી સતત 25 વર્ષથી આ પરંપરા જાળવી રાખવામાં આવી છે. આ વર્ષે શ્રી કૈવલ્યાનંદ સ્વામી મહારાજ (દેરીદાદા)ની 131મી પુણ્યતિથિ નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો હતો. દેરીરોડ મિત્ર મંડળના જગદીશભાઈ ભટ્ટ, હિતેનભાઈ શાહ, ચેતનભાઈ ત્રિવેદી સહિતના સભ્યોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 8:57 am

મોડાસામાં ચેટીચાંદ પર્વની ભવ્ય ઉજવણી:સિંધી સમાજે શોભાયાત્રા કાઢી, 'આયોલાલ ઝુલેલાલ'ના નાદથી ગુંજ્યું શહેર

મોડાસામાં સિંધી સમાજે ચૈત્ર સુદ બીજના રોજ ચેટીચાંદ પર્વની ભવ્ય ઉજવણી કરી. આ દિવસ ભગવાન ઝૂલેલાલની જયંતિ અને સિંધી નવવર્ષ તરીકે હર્ષોલ્લાસથી ઉજવાય છે. અરવલ્લી જિલ્લાના મોડાસા સિંધી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા, 'બહેરાણા સાહેબ'ની પૂજા, ભજન-કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પર્વ એકતા, શ્રદ્ધા અને સંસ્કૃતિ જાળવવાનો સંદેશ આપે છે, જેને સિંધી લોકો 'સિંધીયત જો ડીંહું' તરીકે ઉજવે છે. મોડાસા શહેરમાં ભવ્ય બાઇક રેલી અને શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં 'આયોલાલ ઝુલેલાલ'ના નારા સાથે લોકો ઝૂમી ઉઠ્યા હતા. સમાજના લોકોએ એકત્રિત થઈને ભજન-કીર્તન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામૂહિક પ્રસાદનું આયોજન કર્યું હતું. મોડાસા સિંધી સમાજે સાંઈ ઝુલેલાલની પૂજા-અર્ચના કરીને ચેટીચાંદ પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરી. ખાસ કરીને, વહાણાકાર બનાવેલા 'બહાણા સાહેબ'માં જ્યોત, મિસરી, ફોતા, એલચી, અખા મીઠાઈ, નાળિયેર અને તાજા ફળો ભરી ઓધારી તળાવમાં જળપૂજા કરી વિસર્જન કરવામાં આવ્યું હતું, જે ભગવાન ઝુલેલાલ પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવે છે. પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન ઝૂલેલાલે હિંદુ સંસ્કૃતિ અને ધર્મને બચાવવા માટે અવતાર લીધો હતો. જ્યારે મિરાખશાહ નામના મુસ્લિમ રાજાએ સિંધ પ્રદેશ પર શાસન કર્યું અને ધર્મ પરિવર્તન શરૂ કર્યું, ત્યારે લોકોએ ભગવાન વરુણને પ્રાર્થના કરી. ભગવાન વરુણ તેમની ભક્તિથી પ્રસન્ન થયા અને માછલી પર બેસીને દિવ્ય દર્શન આપ્યા. તેમણે ભક્તોને આશ્વાસન આપ્યું કે તેઓ નસરપુરમાં ભક્ત રતનરાયના ઘરે માતા દેવકીના ગર્ભમાંથી જન્મ લેશે. વચન મુજબ, રતનરાયના ઘરે વરુણ દેવનો જન્મ થયો, જેના પછી મીરાખશાહનો આતંક સમાપ્ત થયો. ચેટીચાંદ નવવર્ષની શરૂઆતનું પ્રતીક છે અને ભગવાન ઝૂલેલાલને સત્ય, ન્યાય અને શાંતિના પ્રતીક તરીકે પૂજવામાં આવે છે. આ દિવસ સિંધી સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખે છે. શોભાયાત્રામાં ભક્તો દ્વારા આયો લાલ ઝૂલેલાલના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 8:49 am

વેરાવળમાં મચ્છી ઉતારવા મુદ્દે બે જૂથો વચ્ચે ધીંગાણું:જાલેશ્વરમાં સશસ્ત્ર અથડામણ, 6 ઇજાગ્રસ્ત; 13 સામે ગુનો નોંધાયો

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના જાલેશ્વર વિસ્તારમાં માછીમારોના બે જૂથો વચ્ચે માછલી ઉતારવા બાબતે સામાન્ય બોલાચાલી ઉગ્ર બની સશસ્ત્ર અથડામણમાં ફેરવાઈ હતી. આ ઘટનામાં લાકડીઓ, લોખંડના પાઇપ અને પથ્થરોનો ઉપયોગ થતાં અંદાજે 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, આ ઘટના 17 માર્ચના રોજ સાંજે આશરે 7:30 વાગ્યે જાલેશ્વર દરિયાકાંઠે બની હતી. માછલી ઉતારવા બાબતે આબીદ જુમા ઢોકી અને અસગર નથુ લુસાણીના પરિવારો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જે થોડા જ સમયમાં વધી ગઈ હતી. વાત વકરતા બંને પક્ષના લોકો એકઠા થઈ ગયા અને એકબીજા પર હુમલો કર્યો હતો. આ અથડામણ દરમિયાન ભારે પથ્થરમારો અને મારામારી થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ વેરાવળ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. આ બનાવ અંગે બંને પક્ષ દ્વારા સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી છે. અસગરભાઈ નથુભાઈ લુસાણીની ફરિયાદના આધારે આબીદભાઈ જુમાભાઈ ઢોકી સહિત 5 વ્યક્તિઓ વિરુદ્ધ BNSની કલમ 115(2), 352, 351(2), 54 તેમજ જીપી એક્ટ 135 હેઠળ ગુન્હો નોંધાયો છે. જ્યારે આબીદભાઈ જુમાભાઈ ઢોકીની ફરિયાદ આધારે સોયબ અબ્દુલા સહિત 8 વ્યક્તિઓ વિરુદ્ધ BNSની કલમ 109, 115, 118(1), 117(2), 189, 191(2), 191(3), 190, 352, 351(2) તથા જીપી એક્ટ 135 મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે બંને પક્ષના કુલ 13થી વધુ આરોપીઓ વિરુદ્ધ રાયોટિંગ સહિતની ગંભીર કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે અને તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાને પગલે જાલેશ્વર અને આસપાસના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હાલ પરિસ્થિતિ કાબૂમાં હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે, પરંતુ તણાવને ધ્યાનમાં રાખીને પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 8:30 am

ગોધરામાં ચાંદ રાતની રંગત:ઇદ પૂર્વે બજારોમાં માનવ મહેરામણ, છેલ્લી ઘડીની ખરીદી

પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ બાદ દેશભરમાં ચાંદ દેખાતા ઇદ-ઉલ-ફિત્રની ઉજવણી 21 માર્ચ, શનિવારે કરવામાં આવશે. આ પૂર્વે પંચમહાલના મુખ્ય મથક ગોધરામાં ચાંદ રાત નિમિત્તે બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. ગોધરા શહેરમાં 'ચાંદ રાત' નિમિત્તે બજારો મોડી રાત સુધી ધમધમતા રહ્યા હતા. ઇદની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે લોકો છેલ્લી ઘડીની ખરીદી કરવા ઉમટી પડ્યા હતા. શહેરના મુખ્ય વેપારી મથકો જેવા કે પોલન બજાર અને રાની મસ્જિદ વિસ્તારમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. તહેવારના માહોલમાં મોડી રાત સુધી ગ્રાહકોની અવરજવરથી વેપારીઓમાં પણ ઉત્સાહનો માહોલ છવાયો હતો.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 8:29 am

ગોધરામાં ચેટીચાંદ પર્વની ઉજવણી:સિંધી સમાજે ભગવાન ઝૂલેલાલનો જન્મોત્સવ હર્ષોલ્લાસથી મનાવ્યો

ગોધરા શહેરમાં સિંધી સમાજના આરાધ્ય દેવ ભગવાન ઝૂલેલાલના જન્મોત્સવ, એટલે કે 'ચેટીચાંદ' પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે સમગ્ર શહેરમાં એક ભવ્ય અને આકર્ષક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ગોધરાના ઝૂલેલાલ મંદિરમાં ભગવાન ઝૂલેલાલની વિશેષ પૂજા-અર્ચના અને પલ્લવ ધારણ વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ 'આયોલાલ-ઝૂલેલાલ'ના નાદ સાથે શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું. શોભાયાત્રામાં ભગવાન ઝૂલેલાલની ફૂલોથી શણગારેલી ભવ્ય પાલખી અને વિવિધ ધાર્મિક ટેબ્લો ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પરંપરાગત વેશભૂષામાં સજ્જ યુવાનો અને મહિલાઓ ઢોલ-નગારાના તાલે સિંધી લોકનૃત્ય રમતા જોવા મળ્યા હતા. શોભાયાત્રાનું ઠેર-ઠેર પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિવિધ સ્થળોએ શ્રદ્ધાળુઓ માટે ઠંડા પીણા અને પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ગોધરામાં નીકળેલી આ શોભાયાત્રાએ શહેરમાં કોમી એકતા અને ભાઈચારાના દર્શન કરાવ્યા હતા. સાંજે જ્યોત વિસર્જન અને મહાપ્રસાદ સાથે આ મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 8:28 am

પાટણ કોર્ટે અકસ્માત પીડિતને રૂ. 59.66 લાખ વળતરનો આદેશ:પગ ગુમાવનાર યુવાનને ટ્રક માલિક અને વીમા કંપની ચૂકવશે

પાટણની મોટર અકસ્માત ક્લેમ ટ્રિબ્યુનલે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ટ્રિબ્યુનલે અકસ્માતમાં પોતાનો એક પગ ગુમાવનાર 23 વર્ષીય યુવાન અર્પિત મનુભાઈ પટેલને રૂ. 59,66,824નું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. આ વળતર અકસ્માત સર્જનાર ટર્બો ટ્રકના ચાલક, ટ્રકના માલિક અને વીમા કંપનીએ સંયુક્ત રીતે ચૂકવવું પડશે. પાટણના ડિસ્ટ્રિક્ટ જજ પ્રશાંત એચ. શેઠે આ આદેશ આપ્યો હતો. વળતરની રકમ અરજી દાખલ કર્યાની તારીખથી તેની પ્રાપ્તિ સુધી વાર્ષિક 9 ા દરે વ્યાજ સાથે ચૂકવવાની રહેશે. કોર્ટે આ રકમ એક મહિનામાં પાટણની ટ્રિબ્યુનલ કોર્ટ સમક્ષ જમા કરાવવા પણ નિર્દેશ આપ્યો છે. અર્પિત પટેલે મૂળ રૂ. 2 કરોડના વળતરની માંગણી કરી હતી. આ કેસમાં તેમના વકીલ આર. એમ. સોલંકીએ દલીલો રજૂ કરી હતી. આ ઘટના 20 એપ્રિલ, 2013ના રોજ સવારે લગભગ 8.45 વાગ્યે બની હતી. અર્પિત પટેલ તેમના મિત્ર ઠાકોર વિપુલજી ખેંગારજી સાથે મોટરસાયકલ પર પાટણના ખલીપુરથી બોરસણ જઈ રહ્યા હતા. મોટરસાયકલ ઠાકોર વિપુલજી ચલાવી રહ્યા હતા અને અર્પિત પાછળ બેઠા હતા. પાટણના ટી.બી. ત્રણ રસ્તા પસાર કર્યા બાદ સિદ્ધપુર ચાર રસ્તા નજીક પહોંચતા, પાટણની નવજીવન હોટલ પાસે એક ટર્બો ટ્રકે પાછળથી મોટરસાયકલને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અર્પિતનો ડાબો પગ ટ્રકના આગળના ટાયર નીચે ફસાઈ જવાથી ગંભીર રીતે કચડાઈ ગયો હતો. અર્પિતને તાત્કાલિક ખાનગી વાહન દ્વારા પાટણની જનતા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ, તેમને 108 ઈમરજન્સી વાન દ્વારા મહેસાણાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર દરમિયાન ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં તેમનો ડાબો પગ ઘૂંટણ નીચેથી કાપી નાખવો પડ્યો હતો. અરજદારે કોર્ટમાં રજૂઆત કરી હતી કે આ અકસ્માત ટર્બો ટ્રક ડ્રાઇવરની બેદરકારીભરી ડ્રાઇવિંગને કારણે થયો હતો. કોર્ટે આ દલીલને માન્ય રાખીને અર્પિત પટેલને ટ્રક ચાલક, ટ્રક માલિક અને વીમા કંપની પાસેથી રૂ. 59,66,824નું વળતર મેળવવા માટે હકદાર ઠેરવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 8:25 am

યુદ્ધ વચ્ચે USની મોટી જાહેરાત: ઈરાનના ઓઈલ પરનો પ્રતિબંધ હટાવ્યો, જાણો ભારત પર શું અસર થશે

US Lifts Iran Oil Sanctions | અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર કરેલા હુમલા બાદ મિડલ ઈસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. સાથે સાથે ગેસની સપ્લાય પણ ખોરવાઈ છે. જેના કારણે અનેક દેશો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે હવે અમેરિકાએ ઈરાનના ઓઈલ પર લાગેલો પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી છે. જેનો અર્થ છે કે હવે દુનિયાના દેશો ઈરાન પાસેથી ઓઈલ ખરીદી શકશે.

ગુજરાત સમાચાર 21 Mar 2026 7:53 am

ગમખ્વાર અકસ્માત:ભાવનગર જિલ્લામાં બે ગમખ્વાર અકસ્માતમાં ભિક્ષાવૃતિ કરતા વૃદ્ધા અને બાઈકચાલકનું મોત

ભાવનગર જિલ્લામાં એક જ દિવસમાં બે ગમખ્વાર અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. તળાજાના ધારડી ગામે ભિક્ષાવૃતિ કરતા વૃદ્ધાને બાઇક ચાલકે ફંગોળ્યા હતા જ્યારે બીજી ઘટનામાં ગારિયાધારના રૂપાવટી રોડ ઉપર આઇશરના ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો. બંન્ને ગમખ્વાર અકસ્માતની ઘટનામાં બે લોકોના કરૂણ મોત નિપજતા પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. અકસ્માત કરનાર બંન્ને ચાલકો ફરાર થઇ જતાં પોલીસે શોધખોળ શરૂ કરી છે. ભાવનગરના તળાજા તાલુકાના ધારડી ગામે રહેતા અને ભિક્ષાવૃતી કરતા વૃદ્ધા કુંદનબાબા ઘરેથી ભિક્ષાવૃતી માટે નિકળ્યા હતા. જે દરમિયાન ધારડી રૂદ્રાક્ષ હોટલ પાસે રોડ ક્રોસ કરવા જતાં બાઇક નં. GJ 04 FD 1443ના ચાલકે પુરપાટ ઝડપે બાઇક ચલાવી કુંદનબાબા સાથે ગમખ્વાર અકસ્માત કરતા વૃદ્ધા રોડ ઉપર પટકાયા હતા. જે ઘટનામાં માથામા ગંભીર ઇજા થતાં સારવારમાં ખસેડ્યા હતા. જ્યાં તેમનું સારવારમાં મોત થતાં વૃદ્ધાના પૌત્ર ઉમંગભાઇ લશ્કરીએ અલંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે બીજી ઘટનામાં ગારિયાધારના ફુલવાડી વિસ્તારમાં રહેતા ધિરૂભાઇ ગોધાણી નામના યુવક પોતાનું મોટર સાયકલ લઇ રૂપાવટી રોડ ઉપરથી પસાર થઇ રહ્યા હતા તે વેળાએ અજાણ્યા આઇશર ટ્રકના ચાલકે ધિરૂભાઇના બાઇક સાથે ગમખ્વાર અકસ્માત કર્યો હતો. આ અક્સમાતની ઘટનામાં ગંભીર ઇજા પામેલા ધિરૂભાઇને સારવાર માટે ખશેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતા પરિવારમાં ભારે શોક પ્રસરી ગયો હતો. મૃતકના પુત્ર મહેશભાઇ ગોધાણીએ આઇશરના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બંન્ને ઘટનામાં અકસ્માતના ચાલકો ફરાર થઇ જતાં પોલીસે શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 6:43 am

સૌરાષ્ટ્ર સમાચાર ગ્રાઉન્ડ રિપોર્ટ:મીની વાવાઝોડાથી કેરીના પાકમાં 40 ટકા જેટલુ નુકશાન

ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ભાવનગર સહિત રાજ્યના અનેક જિલ્લામાં ગઈકાલે ગુરુવારે કમોસમી વરસાદ અને ભારે ઝંઝાવાતી પવન ફૂંકાયો હતો. ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ સાથે 30થી 40 કિલોમીટરની ઝડપે ફુંકાયેલા પવનથી ખેતીવાડીમાં વ્યાપક નુકસાન થયું છે. જેમાં ખાસ કરીને બાગાયતી પાકોમાં કેરી, કેળા અને ચીકુના પાકને ભારે નુકસાન થતા ખેડુતોમાં ચિંતાનું મોજું ફેલાયું છે. ભાવનગર જિલ્લામાં ગઈકાલના કમોસમી વરસાદ સાથે ત્રાટકેલા મીની વાવાઝોડાથી કેરીના પાકમાં 40 ટકા જેટલું નુકશાન થયાનો અંદાજ આંકવામાં આવી રહયો છે. એકલા સૌરાષ્ટ્રમાં ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં 42 હજાર હેકટરથી વધારે ક્ષેત્રફળમાં આંબાનું વાવેતર થયેલું છે. ભાવનગર જિલ્લામાં તળાજા, મુહવા, પાલિતાણા, જેસર સહિતના તાલુકામાંથી કેરીના પાકનું મબલક ઉત્પાદન થયું હોય છે. જેમાં ખાસ કરીને તળાજા તાલુકાના સોસીયા પંથકની કેસર કેરીની વિદેશમાં પણ માંગ રહેતી હોય ત્યારે કેરીની સિઝન શરૂઆતમાં જ કમોસમી માવઠા અને વાવાઝોડાના મારથી ખેડૂતો પર વરસેલી કુદરતી આફતથી વ્યાપક નુકસાન થયું છે. જિલ્લામાંથી દર વર્ષે 4000 ટન કેરીનું ઉત્પાદનભાવનગર જિલ્લામાં કેરીના આંબાનું વાવેતર મોટા પ્રમાણમાં થયેલું છે ત્યારે એકલા ભાવનગર જિલ્લામાંથી દર વર્ષે 4000 ટન (2 લાખ મણ) કેરીનું ઉત્પાદન થાય છે. જોકે ગઈકાલે ગુરુવારે કમોસમી વરસાદ સાથે ત્રાટકેલા મીની વાવાઝોડાથી કેરીના પાકમાં 40 ટકા જેટલું નુકશાન થતા ખેડૂતોને મોઢા સુધી આવેલો કોળિયો ઝુંટવાઈ જાય તેવી સ્થિતિ સર્જાણી છે. - રામદેવસિંહ ગોહિલ, શ્રીરામ ફ્રૂટ કાું. કમિશન એજન્ટ કેરીના પાકનો ઈજારો આપવા પહેલા આફત વરસીઉનાળો શરૂ થતા ખેડૂતો બાગાયતી પાક લેતા ખેડૂતો સારી આશા સાથે આગોતરી તૈયારીમાં જોડાયા હતા. જોકે કાલે કમોસમી વરસાદ સાથે ત્રાટકેલા વાવાઝોડાથી કેરીના પાકનો ઈજારો આપવા પહેલા આફત વરસી છે. મોટા પ્રમાણમાં કેરીનો પાક ખરી જતા ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાની થવાની સાથે આર્થિક રીતે પણ મોટો ફટકો પડ્યો છે. જિલ્લામાં ડુંગળી સહિતના પાકોમાં નુકશાની બાદ ખેડૂતોને વધુ એક માર પડયો છે. - શક્તિસિંહ ગોહિલ, પૂર્વ સરપંચ જસપરા કમોસમી વરસાદ સાથે ત્રાટક્યુ વાવાઝોડું ભાલ પંથકના ગામોમાં પવન સાથે પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોના ખેતરમાં ઘઉં, ચણા જીરુ તેમજ અન્ય ઉભેલા અને તૈયાર પાકો પવનના કારણે વેર વિખેર થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થયુ છે. ભાવનગર તાલુકાના ભાલ વિસ્તારમાં રાજગઢ, મીઠાપર, વેળાવદર , કાના તળાવ, સનેસ સવાઇનગર, પાળીયાદ, દેવળીયા સહિત 15 થી 17 ગામોમાં ખેતીના ઉભા પાક વેરવિખેર થઈ ગયો છે. ખેડૂતો ઉપરાંત આ વિસ્તારના માલધારીઓએ માલઢોર માટે સંગ્રહ કરેલ શિયાળુ કડબનો લાખો મણનો જથ્થો પણ પલળી જતા વ્યાપક નુકસાન થયું છે.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 6:42 am

જિલ્લા તોલમાપ કચેરી દ્વારા કાર્યવાહી:જિલ્લામાં 458 વેપારીને ત્યાં ચેકિંગમુદ્રાંકન ફી પેટે 5.28 લાખની આવક

ભાવનગર જિલ્લા તોલમાપ કચેરી દ્વારા ભાવનગર શહેર એન જિલ્લામાં ફેબ્રુઆરી-2026 મહિનામાં કરાયેલી કાર્યવાહીમાં 458 વેપારીઓને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. ભાવનગર જિલ્લામાં ફેબ્રુઆરી મહિનામાં વિવિધ શ્રેણીના 12 વેપારીઓ સામે વજન માપના અને પી.સી.આર.ના કેસો કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. ભાવનગર અને બોટાદ જિલ્લામાં ભાવનગર જિલ્લા તોલમાપ કચેરી દ્વારા વેપાર કરતા વેપારીઓને ત્યાં આવતા ગ્રાહકો છેતરપિંડીનો ભોગ ન બને તે માટે સમયાંતરે સરપ્રાઇઝ ચેકિંગની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ચાલુ માર્ચ મહિનામાં ચકાસણી પાત્ર વાર્ષિક અને દ્વિવાર્ષિક વેપારીઓના ઈલેક્ટ્રીક અને મિકેનિકલ વજન માપ સાધનોની ખરાઈ કરી ચકાસણી મુન્દ્રાકન ફી પેટે રૂ.5.28 લાખની આવક થઇ છે. તેમજ જે વેપારીઓ દ્વારા ચકાસણી-મુન્દ્રાકનની તારીખ પૂર્ણ થયા બાદ વજન-માપ સાધનો ખરાઈ માટે રજુ કરવા માં આવેલ હોય તેવા વેપારીઓ પાસેથી લેટ ફી પેટે કુલ રૂ.52313ની વસુલાત કરવામાં આવી છે. ફેબ્રુઆરી-2026 મહિનામાં 7 વેપારીઓને વજનકાંટાને લગતા કેસમાં રૂ.9000નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. તેમજ મૂળ કિંમત કરતા વધુ ભાવ લેતા 2 વેપારીઓને રૂ.10 હજારનો દંડ ફટકારાયો હતો. સિહોર તાલુકાના સોનગઢ ખાતે પેકર તરીકે રજીસ્ટ્રેશન ન કરાયેલ એકમને રૂ.20 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત સિહોર શહેરના બે વેપારીઓ પાસે મુન્દ્રાકન ન કરવા અને પરવાના વિના વેચાણ વેપારીઓ પાસેથી રૂ.2 હજારનો દંડ વસૂલાયો હોવાનું સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 6:36 am

જયહિંદ ટ્રોફી:સુરેન્દ્રનગર ડિસ્ટ્રીક્ટ સામે ભાવનગરનો 110 રને વિજય

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત જયહિંદ ટ્રોફી ઇન્ટર ડિસ્ટ્રીક્ટ એલિટ ગ્રુપની ત્રિદિવસીય લીગ મેચમાં સુરેન્દ્રનગર ડિસ્ટ્રીક્ટ સામે ભાવનગર ડિસ્ટ્રિક્ટનો 110 રને વિજય થયો હતો. ભાવનગરે પ્રથમ દાવમાં 293 રન નોંધાવ્યા હતા. સુરેન્દ્રનગરે પ્રથમ દાવમાં 180 રન નોંધાવ્યા હતા. ભાવનગરને પ્રથમ દાવમાં 113 રનની સરસાઇ મળી હતી. ભાવનગરની ટીમે આગળ રમવાનું શરૂ કરતા 41 ઓવર્સમાં 214 રને ઓલઆઉટ થઇ ગયા હતા. સુરેન્દ્રનગરની ટીમને મેચ જીતવા 45 ઓવર્સમાં 327 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. સુરેન્દ્રનગરની ટીમ તેઓના બીજા દાવમાં 45 ઓવર્સમાં 9 વિકેટે 217 રન નોંધાવી શકી હતી. ભાવનગર વતી મૌર્ય ઘોઘારીએ 4 વિકેટ, ચિરાગ સિસોદીયાએ 2 વિકેટ ખેડવી હતી. ભાવનગરની ટીમ પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગયું છે.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 6:35 am

છાત્રોને સાયબર સુરક્ષા અંગે માહિતી આપવામાં આવી:ગાંધી મહિલા કોલેજ ખાતે યુવા સાયબર જાગૃતિ વર્કશોપ યોજાયો

ગાંધી મહિલા આર્ટ્સ અને કોમર્સ કૉલેજ ખાતે “યુવા સાયબર જાગૃતિ વર્કશોપ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનું આયોજન કૉલેજના સાયબર કવચ કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થિનીઓને સાયબર સુરક્ષા અંગે માહિતગાર કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના એએસઆઈ હિરલબેન રાઠોડ તથા ભાવનગર સાયબર સેલના તુલસીભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થિનીઓને સાયબર અપરાધોથી સાવચેત રહેવા, પોતાની વ્યક્તિગત માહિતીનું સંરક્ષણ કરવા તથા ઓનલાઈન ફ્રોડથી બચવાના ઉપાયો અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. આજના સમયમાં વધતા જતા સાયબર ગુનાઓ સામે જાગૃત રહેવાની જરૂરિયાત પર પણ તેમણે વિશેષ ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના સાઇબર કવચ કેન્દ્રના અધ્યક્ષ પ્રો. રંજનબાળા ગોહિલ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં કુલ 229 વિદ્યાર્થિની બહેનો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને તમામને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કૉલેજના મેનેજમેન્ટ કો-ઓર્ડિનેટર ડૉ. અશોકભાઈ પુરોહિત તેમજ પ્રો. વિજયભાઈ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્કશોપ વિદ્યાર્થિનીઓમાં સાયબર સુરક્ષા અંગે જાગૃતિ વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થયો છે.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 6:34 am

MKB યુનિ ફરી વિવાદમાં:એમ.કે.બી. યુનિ.માં બે સેમેસ્ટર જુદા પણ અભ્યાસક્રમ એકસરખો

ભાવનગર શહેરમાં આવેલી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી અંગે વિદ્યાર્થીઓમાં અસંતોષની લાગણી ઉદ્ભવી છે. બી.કોમ સેમેસ્ટર-4 અને સેમેસ્ટર-6માં ઇન્ડસ્ટ્રીયલ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ વિષય બંને સેમેસ્ટરમાં સમાન અભ્યાસક્રમ સાથે ચાલુ રાખવામાં આવ્યો હોવાના મુદ્દે વિદ્યાર્થીઓએ ગંભીર વાંધો ઉઠાવ્યો છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ બંને સેમેસ્ટરમાં એકસરખો વિષય અને એકસરખો અભ્યાસક્રમ રાખવામાં આવતા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડાછેડી થતી હોવાની લાગણી વ્યક્ત થઈ રહી છે અને અભ્યાસક્રમને મજાક સમાન બનાવી દેવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. સાથે સાથે નવી શિક્ષણ નીતિ મુજબ (NEP) કેટી (KT) પરીક્ષા વર્ષમાં બે વખત લેવાય તેવી જોગવાઈ હોવા છતાં યુનિવર્સિટીમાં કેટી પરીક્ષાનું આયોજન યોગ્ય રીતે કરવામાં આવતું નથી તેવી પણ ફરિયાદ ઉઠી છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે ઘણા કિસ્સાઓમાં કેટી પરીક્ષા વર્ષ દરમિયાન લેવાતી નથી અને આગામી વર્ષે નિયમિત પરીક્ષાઓ સાથે જ લેવામાં આવે છે, જે નવી શિક્ષણ નીતિના નિયમો વિરુદ્ધ હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી યુનિવર્સિટી કેમ્પસમાં અસામાજિક તત્વોનું આવાગમન વધી ગયું હોવાની પણ ફરિયાદો સામે આવી રહી છે. કેમ્પસ વિસ્તારમાં દારૂ અને ગાંજા જેવા નશીલા પદાર્થોનો ઉપયોગ થતો હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેમ્પસમાં તાત્કાલિક ધોરણે સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવી વધુ સિક્યુરિટી ગાર્ડોની નિમણૂક કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. આ મુદ્દાઓને લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી પ્રશાસનને તાત્કાલિક નિર્ણય લેવા રજૂઆત કરવામાં આવી છે. સાથે ચેતવણી આપવામાં આવી છે કે જો બે દિવસમાં આ મુદ્દાઓ પર યોગ્ય અને સંતોષકારક નિર્ણય લેવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેના માટેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે. આ રીતે યુનિવર્સિટીની બેદરકારીને કારણે અભ્યાસક્રમને મજાક સમાન બની ગયો હોય તત્કાલ યોગ્ય કરવા રજૂઆત કરવામાં આવી છે

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 6:34 am

સૌરાષ્ટ્ર સમાચાર એક્સપોઝ:રાજ્યના 4 શહેરમાં એન્જિનિયરિંગની 850 નવી બેઠક ફાળવાશે, ભાવનગરમાં જે છે તે બેઠક પણ છીનવાશે!

ભાવનગરની સરકારી શાંતિલાલ શાહ ડિગ્રી ઈજનેરી કોલેજોમાં મિકેનિકલ, સિવિલ, ઈલેક્ટ્રીકલ બ્રાંચની બેઠકો વધારાવાને બદલે બેઠકો ફ્રીઝ કરવાની કે બ્રાંચ બંધ કરવાની ગતિવિધિ થઇ રહી છે. શાંતિલાલ શાહ ઈજનેરી કોલેજોમાં સિવિલ, મિકેનિકલ, ઈલેક્ટ્રીકલ, આઈટી, હાલ ચાર બ્રાંચ કાર્યરત છે. જ્યારે આઈસી બંધ છે. તો ઘણી સીટો ફ્રીઝ કરી અન્યત્ર શિફ્ટ કરવાની હિલચાલે જોર પકડ્યું છે જો કે સરકાર કે શિક્ષણ વિભાગ આ અંગે કોઇ સ્પષ્ટ વાત કરતું નથી પણ તાજેતરમાં રાજ્યમાં જે જે કોલેજોમાં નવી બેઠકો જાહેર થઇ તેમાં 100 ટકા બેઠકો ભરાઇ જતી હોવા છતાં ભાવનગરના નામનો કોઇ ઉલ્લેખ નથી. એક તરફ રાજકીય આગેવાનો ભાવનગરને એજ્યુકેશન હબ તરીકે વિકસાવવાની વાતો કરે છે અને બીજી તરફ ડિગ્રી ઇજનેરીની બેઠકોમાં અન્યાય અંગે ચૂપ છે. શિક્ષણમાં રાજકારણ લાવી બેઠકો માં ઘટાડો કરી અન્યને ફાયદો થાય તે ભાવનગરના વિદ્યાર્થીઓના અહિતની બાબત છે. દરમિયાનમાં ગુજરાતમાં ડિગ્રી ઇજનેરીમાં નવી 2500 સીટ છે એ રાજ્યના મુખ્ય ચાર શહેરમાં શરૂ કરવી એવું ચાલી રહ્યું છે અને તેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરાનો સમાવેશ થાય છે, ભાવનગરનું ક્યાંય નામ દેખાતું નથી. વળી સરકારની દરેક જિલ્લાના વિદ્યાર્થીઓને તેમના જિલ્લામાં ઉચ્ચ શિક્ષણ મળી રહે તેવી ભાવનાથી વિપરીત છે. ઉપરાંત સીટ ફ્રીઝીંગનાં નિર્ણયો આ બાબતની હકીકતને ચરિતાર્થ કરે છે, જે યોગ્ય નથી. ધોલેરા સરને કારણે સેમિકન્ડક્ટર , એઆઇ/રોબોટિક્સના કોર્સ શરુ થવા જોઇએસાણંદ અને ધોલેરા અહીંથી નજીક હોવા છતાં, સેમિકન્ડક્ટર અને અન્ય એઆઇ/રોબોટિક્સ સાથે સંકળાયેલ નવા કોઈ કોર્સ અહીં શરૂ થવા જોઈએ પણ દ્રષ્ટિહીનતાનાં કારણે તે પણ શક્ય બની રહ્યું નથી તેમ જણાય છે. આ સંસ્થા ખાતે 82 એકર જમીનમાં વિશાળ કેમ્પસ છે જયારે અન્ય મોટા શહેરમાં 27 એકરમાં 20 બ્રાંચ ચાલે છે. આ વિશાળ કેમ્પસમાં ભાવિનો વિચાર કરી યોગ્ય નિર્ણય કરવો હિતાવહ છે. એક જ શહેરમાં બે સરકારી ડિગ્રી ઈજનેરી કોલેજ હોય બન્નેમાં સમાનને બદલે નવતર કોર્સ કાર્યરત કરોભાવનગર શહેરમાં ડિગ્રી ઇજનેરીના કોર્સ માટે એક સાથે બે સરકારી કોલેજ છે. આ બન્ને સરકારી ડિગ્રી ઇજેનરી કોલેજમાં આમ તો ભિન્ન ભિન્ન કોર્સ હોય તો વિદ્યાર્થીઓને લાભ થાય પણ આ બન્ને કોલેજમાં સમાન બ્રાંચથી વિદ્યાર્થીઓને તે સિવાયના કોર્ષ માટે બહારગામ કે ખાનગીનો આશરો લેવો પડી રહ્યો છે. જેમાં પરિવર્તનની લાંબા સમયની જરૂર છે. પરંતુ સ્થાનિક રાજકીય આગેવાનો ભલે રાજ્ય કે કેન્દ્ર સુધી પ્રતિનિધિત્વ દરાવતા હોય પરંતુ આ બાબતે કદી અવાજ ઉઠાવતા નથી. ખરેખર તો કૃત્રિમ બુદ્ધિ અને મશીન લર્નિંગ (AI ML), ડેટા સાયન્સ અને બિગ ડેટા વિશ્લેષણ, સાયબર સુરક્ષા / માહિતી સુરક્ષા, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT), રોબોટિક્સ ઇજનેરી, ક્લાઉડ કમ્પ્યુટિંગ, બ્લોકચેઇન ટેકનોલોજી, વર્ચ્યુઅલ રિયાલિટી, બાયોમેડિકલ ઇજનેરી, એરોસ્પેસ ઇજનેરી, નેનોટેકનોલોજી ઇજનેરી જેવા કોર્સ શરુ કરી શકાય. બેઠકો અને વિદ્યાશાખાઓ ઓછી કરવાનું મુલતવી રાખોશાંતિલાલ શાહ ઈજનેરી કોલેજમાં દીર્ઘ વિચારણા વગર, પ્રવેશ ક્ષમતા અને વિદ્યાશાખાઓ ઓછી કરવાનું મુલતવી રાખવા અંગે ફેર વિચારણા કરવા તેમજ નવી બેઠકોમાંથી સીટો ભાવનગર જેવા નાના કેન્દ્રોને ફાળવવામાં આવે તે જરૂરી છે. મોટા શહેરોના સરપ્લસ સ્ટાફને સાચવવા તે જ મોટા શહેરોમાં રિસર્ચ સેન્ટર ખોલવાનાના ઓઠા તળે તેમને સાચવવાનો અભિગમ છે તેમાં તથ્ય જણાતું હોય તો સઘન રજૂઆતને ધ્યાને લઇ યોગ્ય તપાસ કરવા અને નિયમાનુસાર, સત્વરે કાર્યવાહી કરવા અનુરોધ છે. - સેજલબહેન પંડયા, ધારાસભ્ય, ભાવનગર પૂર્વ વિધાનસભા હજી સુધી બેઠક રદ કરવા માટે કોઇ આદેશ મળ્યો નથીશાંતિલાલ શાહ ઇજનેરી કોલેજમાં દર વર્ષે મિકેનિકલ, સિવિલ, ઈલેક્ટ્રીકલ સહિતની શાખાઓમાં તમામ બેઠકો 100 ટકા ભરાઇ જાય છે અને બંધ કરાવાનો કોઇ પ્રશ્ન જ નથી. આમ છતાં ત્રણ બ્રાન્ચની બેઠકો ફ્રીઝ કરવાની કે અન્યત્ર ખસેડી દેવાની વાતો કે પ્રશ્નો અમારી પાસે આવે છે પણ આ અંગે હજી સુધી સરકાર કે શિક્ષણ વિભાગમાંથી કોઇ સત્તાવાર પરિપત્ર આવ્યો નથી. ખરેખર તો આ ત્રણેય વિભાગમાં અમારી કોલેજમાં બેઠકની ક્ષમતા વધારી શકાય તેવી સ્થિતિ અને સુવિધા છે.- પ્રો..જી.પી.વડોદરિયા, પ્રિન્સિપાલ, શાંતિલાલ શાહ ઇજેનરી કોલેજ

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 6:32 am

વેધર રિપોર્ટ:વાવાઝોડામાં વિરામથી રાહત, ઠંડા પવનથી તાપમાન ત્રણ ડિગ્રી ઘટ્યુ

શહેરમાં ગઇ કાલે ફુંકાયેલા વાવાઝોડા બાદ આજે સવારથી જ સૂર્યનારાયણે દેખા દેતા અને આખો દિવસ આકાશ ચોખ્ખું રહેતા નગરજનોએ રાહત અનુભવી હતી. ગઇ કાલ રાતથી ઠંડો પવન સતત ફુંકાતો હોય આજે મહત્તમ તાપમાન ઘટીને 30.9 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 33.8 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે એક જ દિવસમાં 2.9 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 30.9 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જેથી બપોરના સમયે ગરમી કુણી પડી ગઇ હતી. આજે મહત્તમ તાપમાન સામાન્ય કરતા 2.1 ડિગ્રી સેન્ટીગ્રેડ ઓછું નોંધાયુ હતુ. શહેરમાં રાત્રે તાપમાન 19 ડિગ્રી થઇ ગયું હતુ. આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ વધીને 91 ટકા હતુ જો કે સાંજે ભેજનું પ્રમાણ 50 ટકા નોંધાયુ હતુ. શહેરમાં સાંજે પવનની ઝડપ વધીને 14 કિલોમીટર થઇ ગઇ હતી. આજથી ગરમીનો પારો ઉચકાશેભાવનગર શહેરમાં શુક્રવારે વાવાઝ?ડાની અસરથી ગરમીમાં રાહત રહેશે પણ ત્યારબાદ ફરી ગરમીનો માહોલ બનશે અને મહત્તમ તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો વધારો થઈ પારો 35 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 6:25 am

ટ્રેનની સુવિધા વધારવા રેલવેની ઘોષણા:ભાવનગર-બાંદ્રા સાપ્તાહિક ટ્રેન જુલાઇ સુધી લંબાવવાનો નિર્ણય

ભાવનગર રેલવે ડિવિઝનની ભાવનગર-બાંદ્રા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન સહિત 5 જોડી ટ્રેનોના ફેરા વધુ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી મુજબ બાંદ્રા ટર્મિનસ–ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ, જેને 27 માર્ચ સુધી સૂચિત કરવામાં આવી હતી, હવે તેને 31 જુલાઈ સુધી ચલાવવામાં આવશે. તેવી જ રીતે, ટ્રેન નં. 09208 ભાવનગર–બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ, જેને 26 માર્ચ સુધી સૂચિત કરવામાં આવી હતી, હવે તેને 30 જુલાઈ સુધી ચલાવવામાં આવશે. ગાંધીગ્રામ–બોટાદ દૈનિક સ્પેશિયલ અને બોટાદ–ગાંધીગ્રામ દૈનિક સ્પેશિયલ બંને, જેને 31 માર્ચ સુધી સૂચિત કરવામાં આવી હતી, હવે તેને 31 જુલાઈ સુધી ચલાવવામાં આવશે. ભાવનગર–ગાંધીગ્રામ દૈનિક સ્પેશિયલ અને ગાંધીગ્રામ–ભાવનગર દૈનિક સ્પેશિયલ બંને, જેને 31 માર્ચ સુધી સૂચિત કરવામાં આવી હતી, હવે તેને 31 જુલાઈ સુધી ચલાવવામાં આવશે.ધોળા–ભાવનગર દૈનિક સ્પેશિયલ અને ભાવનગર–ધોળા દૈનિક સ્પેશિયલ બંને, જેને 31 માર્ચ સુધી સૂચિત કરવામાં આવી હતી, હવે તેને 31 જુલાઈ સુધી ચલાવવામાં આવશે. વેરાવળ–બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ, જેને 30 માર્ચ સુધી સૂચિત કરવામાં આવી હતી, હવે તેને 27 જુલાઈ સુધી ચલાવવામાં આવશે તેમજ બાંદ્રા ટર્મિનસ–વેરાવળ સાપ્તાહિક સ્પેશિયલ, જેને 29 માર્ચ સુધી સૂચિત કરવામાં આવી હતી, હવે તેને 26 જુલાઈ સુધી ચલાવાશે. ટિકિટ બુકિંગ 20 માર્ચથી શરૂ થયું છે.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 6:24 am

તંત્રની કમોસમી કસોટી:જિલ્લામાં PGVCLના 125 વીજપોલ થયા ધરાશાયી

ભાવનગર જિલ્લામાં ગઈકાલે ગુરૂવારે સાંજે કમોસમી વરસાદ સાથે ફુંકાયેલા ઝંઝાવાતી વાવાઝોડાથી વીજ પુરવઠો પ્રભાવિત બન્યો હતો. ભારે પવનના કારણે સાથે ભાવનગર શહેરના કેટલાક વિસ્તારો ઉપરાંત તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વીજળી ગુલ થઇ જતા પી.જી.વી.સી.એલ.ના તંત્રવાહકો ધંધે લાગ્યા હતા. ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ સાથે ફુંકાયેલા ઝંઝાવાતી વાવાઝોડાથી પી.જી.વી.સી.એલ.ના 125 વીજ પોલ ધરાશાયી બનતા વ્યાપક નુકસાન થયું છે. જિલ્લામાં ગુરૂવારે સાંજે 30થી 40 કિ.મી.ના ઝડપે ફુંકાયેલા ઝંઝાવાતી પવનથી વીજ પોલ ધરાશાયી થવાની અનેક ઘટના પ્રકાશમાં આવી હતી. ભાવનગર શહેરી વિસ્તારને વીજળી પુરી પડતા ભાવનગર સિટી-1 ડિવિઝનમાં 8 વીજ પોલ તૂટી ગયાના બનાવો બન્યા હતા. ભાવનગર જિલ્લામાં તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોને વીજળી પુરી પાડતા ભાવનગર સિટી-2 ડિવિઝનમાં 71 વીજ પોલ, ભાવનગર રૂરલ ડિવિઝનમાં 22 વીજ પોલ, મહુવા ડિવિઝનમાં 3 વીજ પોલ અને પાલિતાણા ડિવિઝનમાં 21 વીજ પોલ ધરાશાયીની ઘટના બની હતી. તેમજ જિલ્લામાં 3 ટ્રાન્સ્ફૉર્મર ક્ષતિગ્રસ્ત બન્યા હતા. ખેતીવાડી ફિડરોને પૂર્વવત્ કરવા કામગીરી શરૂભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ સાથે ફુંકાયેલા ઝંઝાવાતી વાવાઝોડાથી વત્તા-ઓછા પ્રમાણમાં નુકસાન થયું છે. પી.જી.વી.સી.એલ.ના ભાવનગર સિટી-2 ડિવિઝનમાં 16, ભાવનગર રૂરલ ડિવિઝનમાં 33, મહુવા ડિવિઝનમાં 4 અને પાલિતાણા ડિવિઝનમાં 45 મળી કુલ 98 ખેતીવાડી ફિડર વીજળી વિહોણા છે ત્યારે ખેતીવાડી ફિડરોને પૂર્વવત્ કરવા કામગીરી શરૂ છે. > વી. પી. જેઠવા, નાયબ ઈજનેર, ટેક્નિકલ સેક્શન, PGVCL વાવાઝોડાથી વીજળીને લગતી 1640 ફરિયાદ (સ્ત્રોત : PGVCL ભાવનગર બપોરે 2:30 વાગ્યાની સ્થિતિ મુજબ)

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 6:18 am

સૌરાષ્ટ્ર સમાચાર ગ્રાઉન્ડ રિપોર્ટ:CGSTના ડિમાન્ડ ઓર્ડર સામે હાઇકોર્ટેનો સ્ટે

ભાવનગરમાં છેલ્લા 6 મહિનાથી ચકચાર જગાવનારા સીજીએસટી કચેરીના શિપ રીસાયકલરો, રી-રોલિંગ મિલો, અન્ય વ્યવસાયો, વેપારીઓને 700થી વધુ શો-કોઝ નોટિસો, બાદમાં ડિમાન્ડ નોટિસો ઇશ્યુ કરવામાં આવી હોવાના મામલે ઉદ્યોગકારોમાં ભારોભાર અસંતોષ ફેલાયો હતો. 4 શિપ બ્રેકરો, 6 ફરનેસ ઉદ્યોગના અગ્રણીઓએ ડિમાન્ડ ઓર્ડરની સામે હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો છે, તેની સુનાવણી દરમિયાન જજે સ્ટે ઓર્ડર પાઠવી અને 9મી એપ્રિલ સુધીમાં સીજીએસટીને પોતાનો જવાબ રજૂ કરવા નોટિસ પાઠવી છે. વર્ષ 2018-19થી 2023-24 સુધીના સમયગાળા માટે 700થી વધુ વેપારીઓને નોટિસો પાઠવવામાં આવી હતી અને ત્યારબાદ ડિમાન્ડ નોટિસો અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જો વેપારીઓ, વ્યવસાયકારોને ડિમાન્ડ નોટિસથી અસંતોષ હોય તો 10% ડિપોઝિટ રકમ ભરી અને અપિલમાં જવું પડે છે, એક-એક વેપારીને કરોડો રૂપિયાની ડિમાન્ડ નોટિસો પાઠવવામાં આવેલી છે, તેથી અપિલમાં જવા માટે પણ 10 ટકા લેખે જંગી વર્કિંગ કેપિટલના નાણા અનિશ્ચિત મુદ્દત માટે અટવાય જાય તેમ હોય છે. સીજીએસટીના નિર્ણયની સામે 4 શિપ બ્રેકરો અને 6 ફરનેસ અગ્રણીઓએ હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો, પંચવટી શિપ બ્રેકર્સની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ડિમાન્ડ પર રોક લગાવી છે અને સીજીએસટી ભાવનગરને આગામી મુદ્દતમાં પોતાનો જવાબ રજૂ કરવા માટે નોટિસ આપી છે. જે વેપારીઓને નોટિસો અપાઈ છે તે પૈકીના મોટાભાગના વેપારીઓ પાસે ઇન્વોઇસ, બીલ-ટી, ઇ-વે બિલ, વજન કાંટા ચીઠ્ઠી, બેંક ખાતાના ઉતારા જેમાં વેચાણની રકમ જમા આવી હોય, જીએસટી રિટર્ન-1 અને 2 જેમાં સંબંધિત બાબતો રિફ્લેક્ટ થાય છે. સીજીએસટીના અધિકારીઓ આ તમામ બાબતો ઓનલાઇન પણ ચેક કરી શકે તેમ હોવા છતા વેપારીઓ પાસેથી અવનવા દસ્તાવેજી પુરાવા અને કાગળીયા મંગાવવામાં આવી રહ્યા હોવાને કારણે વેપારીઓ પોતાના કામધંધા ભૂલી અને જીએસટી કચેરીના તળીયા ઘસી રહ્યા છે. વેપારીઓના મતે, શો-કોઝ નોટિસ અને ત્યારબાદ ઢગલાબંધ ડિમાન્ડ નોટિસો પણ કરદાતાને ફટકારાઈ છે. વેપારીઓ દ્વારા જીએસટી તંત્ર તરફથી માંગવામાં આવેલા તમામ દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવ્યા હોવા છતા કામગીરી લંબાવવામાં આવી રહી હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. જૂન-2025થી મામલો ભાવનગરને ધુણાવે છેસીજીએસટી ભાવનગર દ્વારા ભાવનગરના ઉદ્યોગકારોને વર્ષ 2018-19થી 2023-24 સુધીના સમયગાળા માટે 700થી વધુ વેપારીઓને નોટિસો પાઠવવામાં આવી હતી અને ત્યારબાદ ડિમાન્ડ નોટિસો અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ સીજીએસટીના વચેટીયા દ્વારા પતાવટ કરાવી આપવા મધ્યસ્થી કરી મોટા ગજાના ઉદ્યોગકારોના કામ પતાવી દીધા હતા, તેથી બાકી રહી ગયેલામાં અસંતોષ ફેલાયો હતો. આ મામલો જુન 2025થી સતત ગુંજી રહ્યો છે. કહેવાતો ટેક્સ કન્સલટન્ટ વચેટિયાની ભૂમિકામાંસીજીએસટીના ઉચ્ચ અધિકારીઓ પોતાના વચેટીયા સમાન કુખ્યાત ટેક્સ કન્સલટન્ટ પીડિત વ્યવસાયકારોને સીજીએસટીની ડિમાન્ડ નોટિસો, કાયદાકીય કાર્યવાહીનું ફીંડલુ વળાવી દેવા અવાંતર હેતુથી મધ્યસ્થીની ભૂમિકા અદા કરી રહ્યા છે. 10 ટકા રકમ અપિલમાં જવા માટે અને કાયદાકીય પ્રક્રિયા લાંબો સમય ચલાવવા, કચેરીના ધક્કા ખાવાની પલોજણમાંથી છુટકારો અપાવવા કુલ ડિમાન્ડના 3 ટકા રકમ સ્પીડ મની તરીકે ચુકવી આપી અને મામલો રફે-દફે કરે છે. આ વચેટીયો સીજીએસટી કચેરીમાં જ પડ્યો-પાથર્યો રહે છે. શા માટે કેસ ગૂંચવાયો છે?સીજીએસટી દ્વારા શિપ બ્રેકરો, રી-રોલિંગ-ફરનેસ ધારકો દ્વારા બોગસ વેચાણ દર્શાવી માત્ર બિલો ફાડવામાં આવ્યા હોવાની બાબતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેની સામે ઉદ્યોગકારો પોતાનો પક્ષ રજૂ કરી કહી રહ્યા છે કે, ભાગીદારી પેઢીમાં ફેરફાર, પેઢીમાંથી પ્રા.લિ., સહિતના ફેરફારના સમયે પાનકાર્ડ બદલાય અને જીએસટી નંબર બદલાય છે, તેથી જે પેઢીના નંબર બદલાયા હોય તેના વેચાણને બોગસ બિલિંગ ગણી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 6:16 am

ભાસ્કર ઇન્વેસ્ટીગેશન:લાંચ આપનાર વ્યક્તિ કોણ? ડોક્ટર અને સફીના નામનો સંવાદમાં ઉલ્લેખ

શહેરમાં અશાંત ધારાથી વચેટીયાઓ અને તંત્ર માટે જાણે ભ્રષ્ટાચારની વધુ એક દુકાન ખુલી છે. પરંતુ આ ભ્રષ્ટાચારની દુકાનનું શટર ઊંચું થયું હોય તેમ તાજેતરમાં જિલ્લા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટના ડ્રાઇવરે મિલકત તબદીલીની પૂર્વ મંજૂરી માટે કરેલી 14 લાખની સોદાબાજી બહાર આવી હતી. લાંચ આપનાર કોણ છે? અને તેની પાછળ કોની માઈન્ડ ગેમ છે? તે તરફ તંત્રનું ધ્યાન જ જતું નથી. શહેરના ક્રેસન્ટ સર્કલ પાસે હિન્દુની કોમર્શિયલ મિલકત મુસ્લિમને વેચાણ આપવા માટે SDMના ડ્રાઇવર મોમીન દ્વારા 14 લાખની સોદાબાજી સીસીટીવી કેમેરા અને ઓડિયો દ્વારા બહાર આવી છે. તે બાબતે પોલીસમાં પણ અરજી આપવામાં આવી છે તેમજ એન્ટીકરપ્શન બ્યુરો દ્વારા પણ તપાસ ચાલી રહી છે. પરંતુ લાંચ લેનાર ડ્રાઇવર મોમીનને લાખો રૂપિયા આપતા હોવાનો વિડિયો બહાર આવ્યો છે તેમાં સ્પષ્ટ રીતે ટોપી પહેરેલ એક વ્યક્તિ અને ક્લિનિક જેવું સ્થળ પણ દેખાય છે. તો લાખો રૂપિયા આપનાર આ વ્યક્તિ કોણ છે ? અને તે કયા સ્થળ પર લાખોની સોદાબાજી કરી? તે હજુ સુધી કોઈ તપાસમાં બહાર આવ્યુ નથી. અશાંત ધારા હેઠળ મંજૂરી માટેની સોદાબાજીમાં વાયરલ થયેલા વિડીયો, વોટ્સઅપ ચેટ અને ઓડિયોમાં સ્પષ્ટ રીતે ચોક્કસ નામોનો ઉલ્લેખ કરવામાં આવે છે જેમાં ડોક્ટર, સફી તેમજ હિરેનભાઈ પ્રાંતના નામનો ઉલ્લેખ થઈ રહ્યો છે. જગજાહેર થયેલ ભ્રષ્ટાચારમાં પણ તંત્રને હજુ કોઈ કડી મળતી નથી. ત્યારે ગંભીરતા નહિ લેવામાં આવે તો એકલ દોકલ પર કાર્યવાહી થયા બાદ તેના મૂળમાંના આકાઓ સુધી પહોંચતા પહેલા જ પ્રકરણનું ફીન્ડલું વળી જવાની પણ શક્યતાને નકારી શકાય નહીં. અશાંત ધારા ભંગનો ગુનો નોંધી સંતોષ, મિલકત જપ્તીની કોઈ કાર્યવાહી નહીં ! શહેરના ક્રેસન્ટ વિસ્તારમાં રહેણાંકી મકાનનું અશાંત ધારા હેઠળ પૂર્વ મંજૂરી નહીં મળી હોવા છતાં 93 લાખમાં વેચાણ કર્યાની પોલીસ ફરિયાદ થઈ પરંતુ હજુ પણ તે મિલકત સામે કોઈ કાર્યવાહી થઈ નથી. સર પટ્ટણી રોડ પર રોડ ટચ બે માળના 252 ચોરસ વાર જમીનમાં 318.10 ચોરસ મીટર બિલ્ટઅપ બાંધકામનું 93 લાખમાં વેચાણ પણ ગળે ઉતરે તેવી વાત નથી. ખરેખર તેમાં પણ તપાસનો વિષય છે. અશાંત ધારામાં સમાવિષ્ટ વિસ્તારમાં જો વહીવટથી છે મિલકતની તબદીલીની પૂર્વ મંજૂરી ન મળે તો સાદી નોટરી અને સાટાખતથી મિલકતોના સોદાઓ થઈ રહ્યા છે. જે પૈકી ગઈકાલે શહેરના ક્રેસન્ટ સર્કલ પાસે સર પટ્ટણી રોડ પર આસપાસના લોકોની જાગૃતતા અને પોલીસની કાર્યવાહીથી સમગ્ર પ્રકરણ બહાર આવ્યું. અશાંત ધારા ભંગમાં ગુજરાત રાજ્યમાં બીજી પોલીસ ફરિયાદ ભાવનગરમાં થઈ. આવા તો અનેક સોદાઓ થઈ રહ્યા હોવાની છડેચોક ચર્ચા છે. શહેરના ક્રેસન્ટ સર્કલ પાસે રોડ ટચ બે માળના રહેણાકી મકાનનું વેચાણ દર્શરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ દ્વારા મિલકત તબદીલીની મંજૂરી નહીં મળી હોવા છતાં અલારખભાઈ કાદરભાઈ ગીગાણીને 93 લાખમાં વેચાણ કરી આપવાનું પોલીસ ફરિયાદમાં અને તેઓના નિવેદનોમાં છે. ગઈકાલે પોલીસ ફરિયાદ તો થઈ પરંતુ જે મિલકતના વેચાણનો વિવાદ છે, તે મિલકત હજુ પણ મુસ્લિમ પરિવારના કબજામાં જ છે. ખરેખર જે મિલકત માટે ગુનો નોંધાયેલો છે તે મિલકત સામે કાયદાની જોગવાઈ મુજબ તટસ્થ કાર્યવાહી કરવી જરૂરી છે. નહીં તો અશાંત ધારો માત્ર કાગળ પરનો કાયદો જ બની રહેશે. અશાંત ધારા ભંગ સંદર્ભે પ્રભારી મંત્રી કૌશિક વેકરીયાએ પણ ગુનાના મૂળ સુધી પહોંચી કડક કાર્યવાહી માટે પોલીસને સુચના આપી હોવાનું જણાવાયું છે.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 6:12 am

80-100 કિમી ઝડપે ફૂંકાયેલા પવનથી ફળો ખરી પડ્યા:દક્ષિણ ગુજરાતમાં તોફાની પવનથી ખેતીને નુકસાન, કેરીનો પાક સૌથી વધુ ખરી ગયો

19મી માર્ચે સુરત શહેર, જિલ્લા તેમજ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. 80થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવન કારણે જનજીવન અસરગ્રસ્ત બન્યું હતું. ભારે પવનના કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો પડ્યા હતા અને ખેતી ક્ષેત્રે પણ મોટું નુકસાન નોંધાયું છે. દક્ષિણ ગુજરાતમાં અંદાજે 2 લાખ એકરમાં કેરીનો પાક લેવામાં આવે છે, જેમાં વલસાડી હાફૂસ, કેસર અને રાજાપુરી જાતોની કેરીનો સમાવેશ થાય છે. હાલમાં રવિ પાકની સિઝન ચાલી રહી હોવાથી આશરે 20 હજાર એકરમાં ઘઉં અને 15 હજાર એકરમાં ચણાનો પાક પણ ઉભો છે. તોફાની પવનને કારણે આ તમામ પાકને અસર પહોંચી છે, પરંતુ સૌથી વધુ નુકસાન કેરીના પાકને થયું હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને 80થી 100 કિમીની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે કેરીના ફળો મોટા પ્રમાણમાં જમીન પર પડી ગયા છે. જેના કારણે આ સિઝનમાં કેરીના ઉત્પાદન પર અસર પડશે અને બજારમાં ભાવ વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. નોંધનીય છે કે, ગયા વર્ષે પણ ઘણા માવઠા થયા હતા, જેના કારણે ખેડૂતોને તૈયાર પાકની નુકસાનીનો સામનો વેઠવો પડ્યો હતો, સરકાર દ્વારા તેમને મદદ તો કરાઈ હતી પરંતુ તેનાથી ખરેખર નુકસાની જેટલી ભરપાઈ થઈ શકી નહોતી. સહાય માટે સરકારને રજૂઆત કરવામાં આવશેખેડૂત અગ્રણી જયેશ દેલાડે જણાવ્યું હતું કે જળવાયુ પરિવર્તનના કારણે ખેડૂતોને વારંવાર આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. વાવાઝોડા જેવી સ્થિતિમાં સૌથી વધુ કેરીના પાકને નુકસાન થયું છે. ખેડૂતોને સહાય મળે તે માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 6:03 am

યોગ્ય નોકરી ન મળતા યુવકે કર્યો આપઘાત:યુવક બ્લિચિંગ લિક્વિડ પીને માતાના ખોળામાં સૂઈ ગયો

જીયાવમાં બેકાર યુવકે બ્લિચિંગ લિક્વિડ પી લેતા મોત નીપજ્યું હતું. વિગત મુજબ, મૂળ માંડવીના વતની દિનેશભાઈ મિસ્ત્રી હાલ જીયાવ બુડિયા રોડ પર આવેલ પ્રિયંકાસિટી ગોલ્ડ સોસાયટીમાં પરિવાર સાથે રહે છે અને મજૂરી કામ કરે છે. તેના સંતાન પૈકી 34 વર્ષીય પુત્ર લકીકુમારે ગુરૂવારે રાત્રે તેંણે ઘરમાં બ્લિચિંગ લિક્વિડ પી લીધું હતું. પરિવાર દ્વારા પોલીસને અપાયેલી પ્રાથમિક વિગત મુજબ, લકી લાંબા સમયથી યોગ્ય કામ નહીં મળવાને કારણે ટેન્શનમાં રહેતો હતો. લાંબા સમયથી તે નોકરી માટે પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ કયાંય મેળ પડતો ન હતો. જેથી તાણમાં આવીને તેણે અંતિમ પગલું ભર્યું હોવાની શકયતા છે, મૃતક યુવક અપરિણીત હતો. હાલમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. ગરમી થવા લાગતા જાતે જ શર્ટ ફાડી નાખ્યું હતુંલકીને અતિશય ગરમી થતા તેણે ટીશર્ટ પણ ફાડી નાખ્યું હતું. લકીના બદલાયેલા વ્યવહારને જોઈને પરિવારને શંકા જતાં સમગ્ર હકીકત સામે આવી હતી. જેથી તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન શુક્રવારે બપોરે તેનું મોત નિપજયું હતું.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 6:03 am

વેપારી સાથે ઠગાઈ:ડોલર આપવાનું કહીને વરાછાના વેપારી પાસેથી 3 ગઠિયા 6.50 લાખ લઇ ફરાર

વ્યાજબી ભાવે ડોલર લેવા જતા વરાછાના વેપારીએ રૂ .6.50 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્રણ ગઠીયાએ વેપારીને રૂપિયા લઇને લાલગેટ વિસ્તારમાં આ‌વેલા સ્નેહસાગર એપાર્ટમેન્ટ પાસે લઇ જઇ રુપિયા ભરેલી થેલી લઇને નાસી ગયાનો બનાવ બન્યો હતો. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ વરાછા યોગીચોક સ્થિત તિરૂપતિ સોસાયટીમાં રહેતા કમેલેશ પ્રાગજીભાઇ જોગાણી જમીન મકાન લે-વેચના ધંધા સાથે સંકળાયેલા છે. કમલેશના મિત્ર રજનીભાઇને ડોલરની જરૂર હોવાથી કમલેશ જોગાણીએ એકાદ મહિના પહેલા પોતાના દિકરા ગર્વ થકી તેના મિત્ર દ્વારકેશને વાત કરી હતી. જ્યારે દ્વારકેશે પોતાની પાસે કોન્ટેક્ટ હોવાનું કહીને સલમાન ઉર્ફે તનિમ કાપડીયાનો ફોન પર સંપર્ક કર્યો હતો. સલમાને વ્યાજબી ભાવે ડોલર આપવાનું કહીને તેમને રૂપિયા લઇને ભવાની મંદિર પાસે આવેલી આર. કે. આંગડિયા પેઢીના ગેટ પાસે બોલાવ્યા હતા. જેથી કમલેશ જોગાણી તેના મિત્ર રજની અને ભુગેશ રૂ. 6.50 લાખ રોકડા લઇને ભવાની મંદિર પાસે ગયા હતા. જ્યાં સલમાન અને ફૈઝલ ચાંદીવાલા સાથે ઉભો હતો. ત્યાં તેમની વચ્ચે ઓળખાણ થયા બાદ સલમાન તેમને લાલગેટ રોયલ બેકરીની ગલીમાં આ‌વેલા સ્નેહસાગર એપાર્ટમેન્ટ પાસે લઇ ગયો હતો. જ્યાં સલમાને આગળ મારી ઓફિસ છે પૈસા આપો ગણીને આવુ છું એમ કહીને કમલેશ અને તેના મિત્રોને ત્યાં જ ઉભા રાખીને રૂપિયા ભરેલી થેલી લઇને ગયો હતો. વિશ્વાસ આપવા માટે ફૈઝલને તેમની સાથે ઉભો રાખ્યો હતો. 20 મિનીટ જેટલી રાહ જોઇ છતા સલમાન આવ્યો ન હતો દરમિયાનમાં ફૈઝલ પર સાથી સાથે ત્યાંથી ભાગી ગયો હતો. કમલેશ જોગાણીએ વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. ઝઘડો કરવાનું નાટક કરીને ફૈઝલ ભાગી ગયોકમલેશ અને તેના મિત્રા પાસે વિશ્વાસ માટે સલમાન ફૈઝલને મૂકીને ગયો હતો. 20 મિનીટ જેટલો સમય થયો છતા તે આવ્યો ન હતો. દરમિયાનમાં કારમાં સવાર થઇને એક વ્યકિત આવ્યો હતો અને ફૈઝલ સાથે ગાળાગાળી બાદમાં ઝપાઝપી કરીને તેને કારમાં બેસાડી નાસી ગયો હતો.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 6:02 am

રાહુલ ગાંધી 23 માર્ચે વડોદરામાં આદિવાસી અધિકારના કાર્યક્રમમાં હાજરી આપશે:ચૂંટણી પહેલા આદિવાસીઓને રીઝવવાના પ્રયાસો, અમિત ચાવડા આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધશે

રાજયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે હવે રાજકીય પક્ષો દ્વારા ગુજરાત તરફ નજર કરવામાં આવી છે. સોમવારે કોંગ્રેસના આગેવાન અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી વડોદરા ખાતે આદિવાસી અધિકાર કાર્યક્રમમાં હાજરી આપશે. ગુજરાતમાં ચૂંટણીઓ પહેલા કોંગ્રેસના કાર્યકરોમાં જોમ ભરવાનું કર્યું આ કાર્યક્રમ થકી થશે. એનજીઓ, આદિવાસી આગેવાનો અને સ્વૈચ્છીક સંસ્થાઓ સાથે સંવાદ રાહુલ ગાંધી વડોદરાના આજવા રોડ ઉપર આવેલા પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં આદિવાસી વિસ્તારમાં કામ કરતી એનજીઓ, આદિવાસી આગેવાનો અને સેવાભાવી સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહેશે. ઉપરાંત આદિવાસીઓના અધિકારો તેમજ તેઓ સામેના અન્યાય અંગેના મુદ્દાઓ ઉપર સભા સંબોધિત કરશે. ચૂંટણી પહેલા કોંગ્રેસના કાર્યકરોમાં નવો ઉત્સાહ ભરવા માટેનો આ પ્રયાસ છે. અમિત ચાવડા આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધશે કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી સોમવારે બપોરે આજવા રોડ ઉપર પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે આવશે. આદિવાસી ક્ષેત્રમાં કામ કરી રહેલી વિવિધ સંસ્થાઓ સાથે તેઓ વાર્તાલાપ કરશે. સમગ્ર કાર્યક્રમની માહિતી આપવા માટે આજે 21 માર્ચે શનિવારે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરશે. રાજકીય પક્ષોનું આદિવાસીઓ ઉપર ફોકસ આગામી ચૂંટણીમાં હવે તમામ રાજકીય પક્ષોનું આદિવાસી વિસ્તાર ઉપર ફોકસ વધ્યું છે. ખાસ કરીને પંચમહાલ, ગોધરા, નર્મદા, અને ભરૂચ જિલ્લામાં વસતા આદિવાસો ઉપર દરેક રાજકીય પક્ષ ફોકસ કરી રહ્યું છે. આપના આદિવાસી ધારાસભ્ય ચૈતર વસવાનું દિવસે ને દિવસે કદ વધી રહ્યું છે તેની સામે તાજેતરમાં જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ થોડા જ સમયમાં ચૈતર વસાવાના ગઢમાં બે સભાઓ સંબોધિત કરી હતી. ત્યારે હવે કોંગ્રેસ પણ તે જ દિશામાં આગળ વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 2027ની સેમિફાઇનલ!આગામી એક બે મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાશે. નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં મતદારોનો ઝોક કઈ તરફ છે તે અંદાજ આવી જશે. આગામી 2027માં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વિધાનસભાની ચૂંટણીઓની સેમિફાઇનલ ગણવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 6:00 am

હેર સલૂન ચલાવનાર બન્યો ફેમસ યોગ ગુરૂ:ધો. 12 પાસ પ્રદીપ કેન્સર-હાર્ટ બ્લોકેજ બીમારી દૂર કરતો, આશ્રમમાં જ ઓપરેશન થિયેટર; રજવાડી લાઈફ જીવવાનો શોખીન

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 2 કરોડની નકલી ચલણી નોટો મામલે 18 માર્ચે સુરતના કથિત યોગગુરૂ પ્રદીપ જોટંગીયાની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ શખસ કોઈ મોટો યોગી કે ડોક્ટર નથી, પરંતુ માત્ર ધોરણ 12 સુધી ભણેલો સામાન્ય માણસ છે. ભૂતકાળમાં રાજકોટમાં હેર સલૂન ચલાવતો પ્રદીપ જોટંગીયા સુરતમાં ‘શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન’ના નામે લોકોની શ્રદ્ધા અને આસ્થા સાથે ચેડા કરી રહ્યો હતો. હાલ પોલીસે તેની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આશ્ચર્યની વાત એ છે કે, માત્ર ધોરણ 12 ભણેલો આ નકલી યોગ ગુરૂ કોઈપણ પ્રકારની તબીબી ડિગ્રી વગર હૃદયના બ્લોકેજ અને કેન્સજ જેવી જીવલેણ બીમારી દૂર કરી આપવાની ગેરંટી આપતો હતો. કેન્સર અને હાર્ટ બ્લોકેજની સારવારનો દાવો કરતોપ્રદીપ જોટંગીયાએ જે વીડિયો અપલોડ કર્યા છે તેમાં તે કેન્સર અને હાર્ટ બ્લોકેજ દૂર કરવાનો દાવો કરે છે. તે પોતાના સોફા પર બેસીને દર્દીઓની ફાઈલ જોતો અને સારવાર કરતો હતો. નવાઈની વાત એ છે કે, આ ફાઈલો પર કોઈ આયુર્વેદિક ડોક્ટર કે નિષ્ણાતનું નામ સુદ્ધા નહોતું. માત્ર પ્રદીપનો ફોટો હતો. તે કુદરતી ઉપચાર અને આધ્યાત્મિક શક્તિના નામે દર્દીઓને ભ્રમિત કરીને લાખો રૂપિયા પડાવતો હોવાની આશંકા સેવાઈ રહી છે. આ પણ વાંચો: ભાસ્કર બતાવે છે પ્રદીપ ગુરૂનો 'રહસ્ય લોક', સુરતના આશ્રમમાં જમીન નીચે બંકર જેવા રૂમ ડિગ્રી વગર યોગ ગુરૂના આયુર્વેદિક ઉપચારનકલી યોગગુરૂ પાસે આયુર્વેદ કે નેચરોથેરાપીની એકપણ માન્ય ડિગ્રી નથી. તેમ છતાં તે લાંબા સમયથી લોકોને આયુર્વેદિક ઉપચારના નામે છેતરી રહ્યો હતો. તેની સંસ્થાના પેમ્ફ્લેટ્સ અને ફાઈલ પર આયુર્વેદિક ઉપચાર, કુદરતી ઉપચાર અને યોગ શિબિર જેવી લોભામણી જાહેરાતો લખવામાં આવતી હતી. કોઈપણ મેડિકલ બેગ્રાઉન્ડ વગર તે જે રીતે ગંભીર બીમારીની સારવાર કરતો હતો તેનાથી અનેક દર્દીઓના જીવ જોખમમાં મુકાયા હોવાની શક્યતા પોલીસ તપાસમાં જણાઈ રહી છે. દર્દીના પેટમાંથી પાણી કાઢવાનો વીડિયોએક વીડિયોમાં પ્રદીપ એક કેન્સર પીડિત મહિલાની સાવરા કરતો દેખાય છે. વીડિયોમાં તે કહી રહ્યો છે કે, મહિલાનું એક-બે વખથ કીમો થઈ ચૂક્યું છે અને પેટમાં 2.5 લીટર પાણી ભરાયું છે. આ દરમિયાન આશ્રમની મહિલા સેવિકાઓ દર્દીના પેટમાં પાઈપ લગાવીને જારમાં પાણી કાઢતી નજરે પડે છે. કોઈપણ સર્જિકલ જ્ઞાન વગર આ રીતે અસલામતી પૂર્વક કરવામાં આવતી પ્રક્રિયા અત્યંત ગંભીર ગુનો માનવામાં આવે છે. આ પણ વાંચો: જાણો પ્રદીપ કેમ બન્યો ‘નકલી નોટોનો સોદાગર’ હાર્ટ બ્લોકેજની સારવારના નામે લોકોને ફસાવતોફાઉન્ડેશનના પેજ પર અન્ય એક વીડિયો મુકવામાં આવ્યો છે. જેમાં કામરેજનો એક વ્યક્તિ દાવો કરે છે કે, તેને હૃદયમાં બ્લોકેજ હતું અને ડોક્ટરોએ સ્ટેન્ટ મૂકવાની સલાહ આપી હતી. જોકે, પ્રદીપ પાસે આવ્યા બાદ કુદરતી ઉપચાર અને યોગથી તેનું બ્લોકેજ ખુલી ગયું હોવાનો તે દાવો કરે છે. આવા ખોટા પ્રચાર દ્વારા પ્રદીપે અનેક લોકોને જાળમાં ફસાવ્યા હતા. લોકો આ ગુરૂજીના આશીર્વાદ માનીને પોતાની જીવલેણ બીમારીઓમાં ડોક્ટર પાસે જવાનું ટાળતા હતા. આશ્રમમાં ઓપરેશન થિયેટર જોઈ પોલીસ પણ સ્તબ્ધપોલીસ તપાસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, આ નકલી યોગગુરૂએ પોતાના આશ્રમમાં જ ઓપરેશન થિયેટર જેવી વ્યવસ્થા ઉભી કરી હતી. આશ્રમમાં 2 એવા રૂમ મળી આવ્યા છે જે ઓપરેશન થિયેટર તરીકે વપરાતા હતા, જેમાં તમામ મેડિકલ સાધન-સામગ્રી પણ હતી. આ સાધનોનો ઉપયોગ કેવી રીતે અને કોના પર કરતો હતો તે મુદ્દે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હવે ઝીણવટભરી તપાસ કરી રહી છે. આ પણ વાંચો: 24 કલાક પહેલા ટીપ મળતા 24 પોલીસકર્મી સવારથી ગોઠવાયા; અમદાવાદમાં 5252 નંબરની ફોર્ચ્યુનર દેખાતા ઓપરેશન પાર પાડ્યું ભગવાન કૃષ્ણના વેશમાં મટકી ફોડતો નજરે પડ્યોનકલી યોગગુરૂ પ્રદીપની કરતૂતો એક પછી એક બહાર આવી રહ્યા છે. ધરપકડ બાદ તેના એવા વીડિયો સામે આવ્યા છે. જેમાં તે ભક્તિના નામે પાંખડ કરતો જોવા મળે છે. એક વીડિયોમાં આ મહાઠગ ભગવાન શ્રીકૃષ્ણનો વેશ ધારણ કરીને ભક્તોની વચ્ચે મટકી ફોડતો નજરે પડે છે. શ્રદ્ધાળુઓને આકર્ષવા અને પોતાની છબી એક દૈવી પુરૂષ તરીકે ઉભી કરવા તે આવા ધાર્મિક નાટકો કરતો હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. મહારાણા પ્રતાપના સોન્ગ પર પાખંડીની અશ્વ સવારીમાત્ર આધ્યાત્મિકતા જ નહીં પણ પ્રદીપને રજવાડી જીવનશૈલી જીવવાનો પણ ભારે શોખ હતો. તપાસ દરમિયાન તેનના એવા વીડિયો સામે આવ્યા છે, જેમાં તે કિંમતી ઘોડા પર સવાર થઈને મહારાણા પ્રતાપના સોન્ગ ઉપર અશ્વ સવારી કરતો જોવા મળે છે. આ પણ વાંચો: સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાંથી નકલી નોટો મળી, પ્રદીપ ગુરુજીની ધરપકડ પ્રદીપ પાસેથી કોઈ મેડિકલ ડિગ્રી મળી નથી: પીઆઇઆ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ એસ.જે. જાડેજાએ જણાવ્યું હતું કે, નકલી નોટના કેસમાં પકડાયેલા તમામ આરોપીઓ હાલ રિમાન્ડ પર છે અને તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, પ્રદીપ માત્ર ધોરણ 12 સુધી જ ભણેલો છે. અત્યાર સુધીની તપાસમાં તેની પાસેથી આયુર્વેદિક ઉપચાર કે અન્ય કોઈપણ પ્રકારની તબીબી પ્રેક્ટિસ માટેની માન્ય ડિગ્રી મળી આવી નથી.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 6:00 am

ગુજરાતમાં કમોસમી વરસાદનો બીજો દિવસ:ધોધમાર વરસાદે કેસર કેરીના બગીચાઓમાં ખેડૂતોની ચિંતા વધારી, 24 કલાક બાદ તાપમાનમાં 3-4 ડિગ્રી વધશે

ગુજરાતમાં કમોસમી વરસાદનો ક્રમ બીજા દિવસે પણ ચાલુ રહ્યો છે. ગતરોજ બપોર બાદ શરૂ થયેલા વરસાદે ઉના, ગીર-ગઢડા, તાલાલા, કોડીનાર અને ગીર-સોમનાથ જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસાવ્યો હતો. આ વરસાદને કારણે ખેડૂતો ખાસ કરીને કેસર અને કેરીના બગીચાઓના માલિકો ચિંતામાં મુકાયા છે. ભારે વરસાદ અને તીવ્ર પવનને કારણે બગીચાઓમાં પાકને નુકસાન થવાની શક્યતા વધી ગઈ છે. 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં દોઢથી બે ઈંચ જેટલો વરસાદ નોંધાયોહવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે રાજ્યમાં આ અચાનક વરસાદી માહોલ સર્જાયો છે. ગત 24 કલાકમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 41 મિમી સુધી વરસાદ નોંધાયો હતો, જેમાં ઉના અને ગીર-ગઢડા વિસ્તારમાં રસ્તાઓ પર નદી જેવો પાણી વહેતા જોવા મળ્યો હતા તો કેટલાક ગામોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. આગામી 7 દિવસમાં 4થી 5 ડિગ્રી તાપમાન વધી શકેહવામાન વિભાગે આજે 21 માર્ચ માટે સૌરાષ્ટ્ર (ગીર-સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર) અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે તેમજ ભારે પવન (40-50 કિ.મી./કલાક) ફૂંકાવવાની સંભાવના વ્યક્ત કરી છે. જોકે, 24 કલાક બાદ વરસાદની તીવ્રતા ઘટવાની અને તાપમાનમાં 3થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે. આગામી 7 દિવસમાં દિવસનું મહત્તમ તાપમાન 4થી 5 ડિગ્રી સુધી વધી શકે છે, જેનાથી ઉનાળાની શરૂઆતનો અહેસાસ થશે. ખેડૂતોએ પાકની રક્ષા માટે વધારાના પ્રયાસો શરૂ કર્યા ખેડૂતો અને બગીચા માલિકો ચિંતામાં છે કે આ વરસાદથી કેસર કેરી અને અન્ય ફળ પાકને નુકસાન થઈ શકે છે. ગીર-ગઢડા અને ઉના વિસ્તારમાં ખેડૂતોએ પાકની રક્ષા માટે વધારાના પ્રયાસો શરૂ કર્યા છે. હવામાન વિભાગે નાગરિકોને ભારે પવન અને વરસાદ દરમિયાન સાવચેત રહેવા અને બહાર નીકળતી વખતે સાવધાની રાખવાની સલાહ આપી છે.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 6:00 am

સલમાને ઘડિયાળ ગિફ્ટ આપી, ગીત સાંભળી આમિર રડ્યો:પિતાએ કહ્યું હતું- આત્મહત્યા કરજે પણ 30 દિવસ મહાદેવને આપી જો, સિંગર જયદેવ ગોસાઇની જિંદગી આમ પલટાઇ

એક કાર્યક્રમમાં સલમાનખાન સ્ટેજ પર મારી પાસે આવ્યાં અને કહ્યું તુમને જો ગરબા ગાયા થા ના વો સુના દે… એટલે મેં તરત જ તેમને ગરબો સંભળાવ્યો અને સલમાને પોતાના હાથમાં પહેરેલી ઘડિયાળ ઉતારીને મને ગિફ્ટમાં આપી દીધી. આમિરખાન પ્રોડક્શન પર બોલાવીને આમિરખાને છૂપાઇને મારા ગીતો સાંભળ્યા. હું જ્યારે બહાર આવવા માટે સ્ટુડિયોનો દરવાજો ખોલવા ગયો તો સામે આમિરખાન હતા. તેમની આંખોમાં આંસુ હતા, તે મને ભેટી પડ્યાં. આ શબ્દો છે ભાવનગરના મહુવા તાલુકાના ખારી ગામથી માયાનગરી મુંબઇ અને દેશ વિદેશમાં પોતાના સૂરથી ચાહકોને ડોલાવનારા જાણીતા સિંગર અને કમ્પોઝર જયદેવ ગોસાઇના. ભજનથી લઇને બોલિવૂડના ગીતો અને ગુજરાતીથી માંડીને રાજસ્થાની, બંગાળી તેમજ સંસ્કૃત સહિતની ભાષામાં ગીતો ગાનારા જયદેવ ગોસાઇ આજે અમદાવાદમાં એક અનોખા કોન્સર્ટનું આયોજન કરવા જઇ રહ્યાં છે. આ કોન્સર્ટમાંથી થનારી તમામ આવક તેઓ માનસિક રોગોથી પીડાઇ રહેલા બાળકોની સારવાર અને તેમના પર રિસર્ચ કરવા માટે આપી દેશે. દિવ્ય ભાસ્કરે જયદેવ ગોસાઇ સાથે વાતચીત કરીને તેમના બાળપણથી માંડીને બોલિવૂડ સ્ટાર્સને મળવા સુધીના કિસ્સાં જાણ્યાં હતા. જયદેવ ગોસાઇએ ખારી ગામની જ સરકારી શાળામાંથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. શાળાના અભ્યાસ દરમિયાન પ્રાર્થના ગવાતી હતી. જેમાં જયદેવ અને બીજા વિદ્યાર્થીઓ પણ ભાગ લેતા હતા. એ સમયે શિલ્પાબેન નામના એક શિક્ષિકાએ જયદેવને કહ્યું હતું કે તુ ખરેખર સારૂં ગાય છે. તે જયદેવ પાસે પ્રાર્થના ગવડાવતા હતા. 3 વર્ષની ઉંમરે ધૂન ગાઇખારીમાં શનિવારે, ચૌદસના દિવસે, આઠમ અને બીજના દિવસે ભજનો થતાં હતા. આ સમયે જયદેવ ગોસાઇની ઉંમર કદાચ ત્રણેક વર્ષની હશે. તે તેના પિતા સાથે જતાં. ભજનની શરૂઆત થાય એ પહેલાં તેના પિતા જયદેવ પાસે ધૂન ગવડાવતાં હતા. એ પછી જ્યારે ભજનો શરૂ થાય ત્યારે જયદેવભાઇ પિતાના ખોળામાં જ સૂઇ જતાં હતા એટલે તેમના માટે તો ભજનો જ હાલરડું બની ગયા હતા. તેઓ કહે છે કે, એ સમયે આખી રાત ભજનો ચાલતાં એ પછી સવારે ઠાકર થાળી થતી હતી. હું ગાવા મળે એટલે નહીં પણ ઠાકર થાળીમાં જે મીઠાઇ હોય તે ખાવા મળે એટલે મારા પિતા સાથે જતો હતો. સફળતાનો શ્રેય પરિવારને આપ્યોજયદેવ ગોસાઇ અને તેના કાકા બાપાના પરિવારમાં કુલ 13 ભાઇઓ છે. એ બધા જ ગાય છે પણ પ્રોફેશનલ સિંગર તરીકે જયદેવ ગોસાઇએ નામના મેળવી છે. આ સફળતા પાછળ તેના પરિવાર તરફથી મળેલા સાહિત્ય, શાસ્ત્ર, ઉપનિષદના જ્ઞાનનો પણ ખૂબ જ મોટો ફાળો છે. બોર્ડની પરીક્ષા અને વ્હાલસોયી મોટી બહેનનું અવસાનઅભ્યાસમાં ધોરણ 9 સુધી ખૂબ જ સારું પરિણામ લાવનારા જયદેવ ગોસાઇ બોર્ડની પરીક્ષામાં એક વિષયમાં ફેલ થયાં હતા. આ બાબતે જ્યારે પૂછ્યું ત્યારે થોડીક ક્ષણ માટે તે ચૂપ થઇ ગયા. તેની આંખોમાં ઝળઝળિયા આવી ગયા અને ગળામાં ડુમો ભરાઇ ગયો. થોડી ક્ષણ પછી તેમણે કહ્યું, મારી બોર્ડની પરીક્ષા અગાઉ જ મારાથી મોટી બહેનનું અવસાન થયું હતું એટલે મારા મનમાં સતત મારી બહેનના જ વિચારો ચાલતાં હતા કેમ કે અમારા પરિવારમાં સૌથી વધારે પ્રેમ તેણે મને કર્યો હતો. જ્યારે બોર્ડનું પરિણામ આવ્યું ત્યારે મને ખબર પડી કે હું એક વિષયમાં ફેલ થયો છું. એક મ્હેણાંએ ભણતર બદલ્યું'આ દરમિયાન મારા ભીખુ કાકાએ મને બોલાવ્યો અને પૂછ્યું કે પરીક્ષામાં શું પરિણામ આવ્યું ? ત્યારે મેં તેમને પરિણામ બતાવ્યું. તેમણે મને કહ્યું હતું કે બેટા ત્રેવડના હોય ને તો આપણે ભણાય જ નહીં. આવું મ્હેણું માર્યું હતું. જેના પછી મેં તરત જ બીજા મહિને પરીક્ષા પણ આપી હતી અને તેમાં પાસ થઇ ગયો ત્યારથી મેં નક્કી કર્યું કે આગળના ભણતરમાં ક્યારેય 75%થી ઓછા નહીં લાવું અને એવું જ થયું. આગળના ભણતરમાં પણ હું સારા માર્કે જ પાસ થયો.' દરેક વ્યક્તિના જીવનમાં એક ક્ષણ આવતી હોય છે જ્યારે તેની સામે બે રસ્તાઓ હોય છે અને તેમાંથી તેણે એક રસ્તો પસંદ કરવાનો હોય છે. આવું જ કંઇક જયદેવના કિસ્સામાં પણ બન્યું. તેને ક્રિકેટ અને સંગીત બન્ને એટલા જ પ્રિય હતા પણ તેણે ક્રિકેટનેના મેદાનની જગ્યાએ સંગીતના સૂરને પસંદ કર્યા. ક્રિકેટ અને સંગીતમાંથી કોઇ એકની પસંદગી કરવાની કસોટીતેઓ જણાવે છે કે, હું મોરારિબાપુના ગુરુકૂળમાં ભણવા માટે ગયો હતો. બાપુને ત્યાં ધણાં કલાકારો પર્ફોમન્સ કરવા માટે આવતાં એટલે હું તેમને સાંભળતો અને તેમની સેવા પણ કરતો. અમે ક્રિકેટ પણ રમતાં હતા એટલે મનમાં સતત એવું જ હતું કે મારે ક્રિકેટર બનવું છે અને આ જ ફિલ્ડમાં કરિયર બનાવવું છે. ‘મારા ગૃહપતિ તરીકે જયદેવભાઇ માંકડ હતા તેમણે મને કહ્યું કે બેટા તારે ક્રિકેટ કરતાં મ્યુઝિક ફિલ્ડમાં જવું જોઇએ. એ પછી તેઓ મને મોરારિબાપુને મળવા લઇ ગયા હતા. બાપુએ પણ મને કહ્યું કે તારે મ્યુઝિક ફિલ્ડમાં જવું જોઇએ એટલે તેમની આજ્ઞા લીધી. એ પછી MS યુનિવર્સિટીમાં ગયા પણ ત્યાં એડમિશન ફૂલ થઇ ગયું હતું એટલે રાજકોટની હિરાણી કોલેજમાં એડમિશન લીધું હતું.’ તેમણે રાજકોટમાં કોલેજકાળ દરમિયાન રેસ્ટોરન્ટના વેઇટર તરીકે પણ કામ કરેલું છે. 20 કલાક સુધી કામ કરતાજયદેવ ગોસાઇ કહે છે કે, 2004-05ના વર્ષમાં હું રાજકોટમાં કોલેજનો અભ્યાસ કરતો હતો. મેં નક્કી કર્યું હતું કે ઘરેથી એક પણ રૂપિયો લેવો નથી એટલે સવારથી બપોર સુધી જોબ કરતો એ પછી કોલેજમાં અભ્યાસ માટે જતો અને સાંજના સમયે એક રેસ્ટોરન્ટમાં વેઇટર તરીકે કામ કરતો હતો. સતત બે વર્ષ હું ફક્ત 4-4 કલાક જ ઊંઘ લેતો હતો બાકીના 20 કલાક કામ કરતો હતો. હિરાણી કોલેજમાંથી સંગીતનો અભ્યાસ કર્યા બાદ તેમણે કોલકાતામાં પંડિત અજય ચક્રવર્તી પાસેથી સંગીત શીખ્યું. એ પછી રાશિદખાન પાસેથી શીખ્યા બાદમાં પંજાબ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગ્લાલિયર જઇને ત્યાંના સંગીત શીખ્યા. તેમણે ઉમેર્યું કે, હું જ્યારે કોલકાતા હતો ત્યારે મારા ગુરુજી પંડિત અજય ચક્રવર્તીને એક સવાલ પૂછ્યો હતો કે એકદમ સચોટ સૂરો ગાવા માટે કેવી રીતે રિયાઝ કરવો. તેમણે મને કહ્યું હતું કે બેટા માણસાઇ અને નીતિ મત્તા જ સૂરિલું ગાવાનો સાચો રિયાઝ છે બાકી કોઇ ઉપાય નથી. પહેલા કાર્યક્રમના 250 રૂપિયા મળ્યાંગળથૂંથીમાંથી જ સંગીતનું જ્ઞાન મેળવનાર જયદેવ ગોસાઇનો પહેલો કાર્યક્રમ 1997માં ખાંભા ગીરની પાસે આવેલા એક ગામમાં હતો. આ અંગે તેમણે કહ્યું, મારા મિત્ર રાજુભાઇને ત્યાં કથા હતી એટલે તેમણે મને ત્યાં બોલાવ્યો હતો. અમે ગયા અને મેં એક દિવસનો કાર્યક્રમ કર્યો. તેમણે મને બીજા દિવસે પણ રોકાઇને કાર્યક્રમ કરવાનું કહ્યું. આમ કરતાં કરતાં 9 દિવસ દરમિયાન મેં 9 કાર્યક્રમો કર્યા હતા. જયદેવે 2009થી 2014 સુધી મુંબઇમાં રહીને અલગ અલગ સિરિયલના બેકગ્રાઉન્ડ મ્યૂઝિક કરવાની સાથોસાથ કમ્પોઝિશન કરવાનું અને ગાવાનું પણ કામ કર્યું હતું. આ દરમિયાન તેમના જીવનમાં એક એવી ઘટના બની જે તેમને હજુ સુધી યાદ છે. તેઓ કહે છે કે, મારા જીવનનો આ એવો સમય હતો કે મારે ખાવાના પણ ફાંફા હતા. આ સમયે મારા પિતા હયાત હતા. હું ખૂબ જ નીતિ મત્તાથી કામ કરતો હોવા છતાં મને સફળતા નહોતી મળતી અને હું કંટાળી ગયો હતો, હારી ગયો હતો. આત્મહત્યા કરવાનું નક્કી કરી લીધું હતું'મેં આત્મહત્યા કરવાનું નક્કી કરી લીધું હતું. મેં મુંબઇથી મારા પપ્પાને ફોન કરીને કહ્યું કે મારે હવે આત્મહત્યા કરી લેવી છે. મારા પપ્પાએ એકપણ ક્ષણનો વિલંબ કર્યા વગર કહ્યું કે હા બેટા બરાબર છે, તારે આત્મહત્યા કરી લેવી જોઇએ પછી તેમણે પૂછ્યું કે કેમ અચાનક શું થયું? મેં તેમને કહ્યું મહેનત કરવા છતાં કામ નથી મળતું એટલે હું થાકી ગયો છું. મારા પપ્પાએ મને એટલું જ કહ્યું કે તે તારી કરિયર માટે અત્યાર સુધી આટલો ટાઇમ આપ્યો છે તો બીજા 30 દિવસ તુ મહાદેવને આપી જો. એ પછી તું જેમ કહીશ એ મને મંજૂર છે.' 15 દિવસમાં અમિતાભ બચ્ચના હસ્તે સન્માન થયુંવાતને આગળ વધારતા તેઓ જણાવે છે કે, 15 દિવસ વિત્યાં એ પછી મને એક સિમેન્ટની કંપનીમાંથી ફોન આવ્યો કે તમારું કામ છે. હું કંપનીના ફાઉન્ડરને મળ્યો અને તેમના માટે કમ્પોઝિંગ કર્યું. આ દરમિયાન મને મોટી રકમ મળી. એ સિમેન્ટ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન હતા. તેમના હસ્તે આલ્બમ રિલીઝ થયું અને તેમના હસ્તે જ મારું સન્માન કરાયું હતું. સલમાનખાનને ત્યાંથી ફોન આવ્યો તો લાગ્યું કે કોઇ મજાક કરે છે.આ કિસ્સાંને યાદ કરતાં તેમણે કહ્યું, 2016-17ના વર્ષમાં હું એક કાર્યક્રમ કરવા ઓસ્ટ્રેલિયા ગયો હતો. જ્યારે હું ત્યાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે સલમાનખાન પ્રોડક્શનમાંથી મને એક કોલ આવ્યો હતો પણ હું ફ્લાઇટમાં હતો તેના કારણે મારી સાથે વાત થઇ શકી નહોતી. હું જ્યારે ભારત આવ્યો ત્યારે મારા પર ફોન આવ્યો અને કહ્યું કે સલમાનખાન પ્રોડક્શનમાંથી બોલું છું. અમારે તમારી સાથે કંઇક કામ કરવાનું છે ત્યારે મને એવું લાગ્યું કે કોઇક મિત્ર મારી સાથે મજાક કરતો લાગે છે એટલે મેં તે વાતને હળવાશમાં લીધી હતી. ‘બીજી વાર ફોન આવ્યો કે મેનેજર તમારી સાથે વાત કરવા માંગે છે ત્યારે તેમના અવાજ પરથી લાગ્યું કે આ કોઇ ગુજરાતી વ્યક્તિ નથી પછી તેમણે કહ્યું કે લવયાત્રી ફિલ્મ આવી રહી છે. તેના પ્રમોશનમાં નવરાત્રિનું આયોજન કરવાનું છે. આ માટે ઘણાં ગુજરાતી સિંગર્સને સાંભળ્યા પણ તમને નવરાત્રિમાં લીડ સિંગર તરીકે બોલાવવા છે. એ પછી હું ત્યાં ગયો, મીટિંગો થઇ. શરૂઆતના 2 દિવસ તો એ કાર્યક્રમમાં સલમાનખાન આવ્યાં નહોતા પણ ઘણી બધી સેલિબ્રિટી ગરબા રમી હતી.’ સલમાનને વા વાયાને વાદળ ઉમટ્યાં સંભળાવ્યું'ત્રીજા દિવસે સલમાનખાન બાળકો સાથે આવ્યાં હતા. એ સમયે હું સ્ટેજ પર હતો અને અમે લોકો પર્ફોર્મન્સ કરી રહ્યાં હતા. જ્યારે પર્ફોર્મન્સ પૂરૂં થયું એ પછી સલમાનખાન સ્ટેજ પર અમને બધાને મળવા આવ્યાં હતા. જ્યારે સલમાનખાન મારી પાસે આવ્યાં ત્યારે તેમણે મને કહ્યું આપ અચ્છા ગાતે હો... તુમને વો ગરબા ગાયા થા વો સુના દે ના પછી મેં તેમને વા વાયાને વાદળ ઉમટ્યાં એ સંભળાવ્યું.' 'આ સંભળાવતાં જ તેઓ મને ભેટી પડ્યાં અને તરત જ તેમણે પોતાના હાથમાં પહેરેલી ઘડિયાળ ઉતારીને મને આપી દીધી. તેમણે મને કહ્યું કે હું તારાથી ખૂબ જ ખુશ છું આ ગિફ્ટ તારા માટે છે.' સલમાનના લાખો ચાહકો તેની એક ઝલક મેળવવા માટે તરસતા હોય છે પણ તેણે જયદેવ ગોસાઇને ઘડિયાળ ભેટમાં આપી હતી. આ ઘડિયાળ આજે ક્યાં છે તે અંગે તેઓ કહે છે કે, મુંબઇમાં સ્ટાર પ્રોડક્શન હતું ત્યાં એક દિનેશ નામનો વોચમેન હતો. જે મારો સારો મિત્ર બની ગયો હતો. હું ત્યાં રોજ ટી.પી અગ્રવાલને મળવા જતો પણ મને કોઇ મળતું નહીં. તેણે મને કહ્યું કે આવી રીતે થોડું કંઇ તમારું કામ થવાનું છે. હું અહીં વોચમેન તરીકે કામ કરું છું પણ અહીંથી સલમાનખાનને ત્યાં જોબ કરવા માટે જવાનો છું. હું અહીં એક મોકા માટે અહીં કામ કરી રહ્યો છું કેમ કે હું પોતે પણ એક રાઇટર છું આટલું સાંભળીને હું ચોંકી ગયો. આ દરમિયાન તે મારા ખૂબ જ સારા મિત્ર બની ગયા અને તેમણે મને ખૂબ જ મદદ પણ કરી હતી એટલે મેં સલમાનખાને મને જે ઘડિયાળ ગિફ્ટમાં આપી હતી તે ઘડિયાળ મેં દિનેશને આપી દીધી. જયદેવ ગોસાઈની આમિર ખાન સાથે પણ એક અણધારી મુલાકાત થઇ હતી.આ અંગે તેમણે જણાવ્યું કે, આમિરખાન પ્રોડક્શનમાં એક ગુજરાતી વ્યક્તિ કામ કરતી હતી. મારા ગુજરાતી લગ્ન ગીતની એક ઓડિયો કલીપ તેમની પાસે હતી. એ વ્યક્તિએ મારી ઓડિયો ક્લિપની રિંગ ટોન રાખી હતી. એ સમયે તેઓ આમિરખાન સાથે બેઠા હશે ને તેમના ફોનમાં રિંગ વાગી. એ વ્યક્તિ ફોન કાપવા જતી હતી ત્યારે આમિરખાને તેને કહ્યું કે અરે બજને દે.... જેના પછી આમિરખાને મને બોલાવવા માટે કહ્યું હતું. ‘હું સ્ટુડિયોમાં ગયો ત્યારે એ વ્યક્તિએ એટલું જ કહ્યું હતું કે તમે જે ગીત ગાયું છે તે અમને સ્ટુડિયોમાં ગાઇને સંભળાવો. અમારે બસ તમને સાંભળવા છે એટલે હું રેકોર્ડિંગ રૂમમાં ગયો અને હાર્મોનિયમ સાથે ગીત ગાયું.’ રાજકોટમાં સચિન તેંડુલકર સાથે જયદેવ ગોસાઇની એક યાદગાર મુલાકાત થઇ હતી. તેઓ કહે છે કે, એક રિક્ષા વાળા ભાઇનો દીકરો 10માં ધોરણમાં ભણતો હતો અને તેને કેન્સર હતું. ડૉક્ટરે તેમના પિતાને કહ્યું હતું કે તમારા દીકરાનું આયુષ્ય ખૂબ જ ઓછું છે. 'આ દીકરાના ફેવરિટ ક્રિકેટર સચિન તેંડુલકર હતા એટલે એક મેચ માટે સચિન તેંડુલકર આવ્યાં હતા ત્યારે એ ભાઇએ મને કહ્યું કે મારા દીકરાની ખૂબ ઇચ્છા છે કે તે સચિન તેંડુલકરને મળે. મેં કોઇક રીતે સચિન સુધી આ વાત પહોંચાડી. એ પછી સચિન તરફથી ટાઇમ મળ્યો એટલે હું એ બાળક અને તેના પિતાને હોટલ પર મળવા લઇ ગયો.' સચિને 11 લાખ રૂપિયાનો ચેક આપ્યો'સચિન અમને તેમના રૂમમાં લઇ ગયા અને બાળકને સાઇન કરેલું બેટ, કેપ અને ટી શર્ટ ગિફ્ટમાં આપ્યા. એ પછી તેમણે 11 લાખ રૂપિયાનો ચેક પણ આપ્યો અને કહ્યું કે અત્યારે આ લેતા જાવ બાકી કંઇ પણ હોય તો તમે મારા મેનેજરને કહેજો પણ કોઇ વાતમાં કોમ્પ્રોમાઇઝ કરતાં નહીં. હું સચિન તેંડુલકર છું, આપણે સિક્સ મારીશું. એક પ્લેયર તરીકે તો તે મને ગમતાં જ હતા અને માણસ તરીકે પણ તેઓ ખૂબ જ સારા વ્યક્તિ છે.' પાકિસ્તાની ગાયકે ફોન કરીને પ્રશંસા કરીતેમણે કહ્યું, મેં મિતવા સોંગ ગાયું હતું ત્યારે તે સાંભળીને પાકિસ્તાનમાં રહેતા તેના ઓરિજિનલ ગાયક સફાકત અમાનત અલીખાને મને ત્યાંથી કોલ કરીને કહ્યું હતું તે તે તો મારા ઓરિજિનલ સોંગ કરતાં પણ ખૂબ જ સારી રીતે ગાયું એટલું જ નહીં શંકર મહાદેવનનો પણ મારા પર ફોન આવ્યો હતો. સંગીતમાં કરિયર બનાવવા માટે વતન ખારીથી માયાનગરી મુંબઇ જવાની પ્રેરણા કોણે આપી તે અંગે તેમણે જણાવ્યું કે, પહેલીવાર મને સંજયભાઇ ધકાણે મોકો આપ્યો હતો કે તુ મારા સ્ટુડિયોમાં કામ કર. આ એ સમય હતો જ્યારે સાથિયા સિરિયલ ખૂબ ટ્રેન્ડિંગ હતી. હું તેનું બેકગ્રાઉન્ડ મ્યૂઝિક અને થીમ તેમની પાસે શીખતો હતો. દિનેશ ઘાટેએ પણ મને બહુ શો આપ્યાં હતા. એક કરતાં વધારે ભાષામાં ગીત ગાયાકોઈ વ્યક્તિને એક કરતાં વધારે ભાષા શીખવી હોય તો તે માટે સતત પ્રયત્નો કરવા પડે છે પણ જ્યારે સંગીતની વાત આવે ત્યારે આખું ગણિત અલગ જ હોય છે. તેના માટે તો વર્ષોનો રિયાઝ કરવો પડે પણ જયદેવ ગોસાઇએ એક કરતાં વધારે ભાષામાં ગીત ગાયા છે. આ કેવી રીતે શક્ય બન્યું તે અંગે તેઓ કહે છે કે, આની પાછળનો શ્રેય મારા પિતાને જાય છે. તેમણે બાળપણથી જ મને વિવિધ તાલીમ આપી છે. તેઓ મને સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી સહિતની ભાષાઓ શીખવતા હતા. જેના કારણે મને આ બધી ભાષાઓમાં રિયાઝ કરવામાં ખૂબ જ સરળતા રહી. મેં સૌથી વધારે શાસ્ત્રીય સંગીતનો રિયાઝ કર્યો છે. જો એક સંગીત આવડી જાય તો બધા જ સંગીત આવડી જાય છે. સ્કૂલ ટાઇમમાં કરેલા તોફાનજયદેવ ગોસાઇ જ્યારે સ્કૂલમાં ભણતાં ત્યારે ખૂબ તોફાની હતા. સ્કૂલમાં રિસેસનો સમય અને બાજુની શેરીમાં રહેતાં કુબેરદાદાનો ઊંઘવાનો સમય એક જ હતો. જ્યારે રિસેસમાં બધા મિત્રો ઘરે જતાં ત્યારે કુબેરદાદાના કાનમાં સળી કરતાં અને તેમના ઘોતીયાને ખાટલા સાથે બાંધી દેતાં. કુબેર દાદા જેટલી સ્પીડથી તેમને મારવા દોડતાં હતા એટલી જ સ્પીડથી પાછા જતાં પણ રહેતા કેમ કે તેમનું ધોતિયું નીકળી જતું હતું. કુબેરદાદા જયદેવના માતાને ફરિયાદ કરતા કે આવું કરવાવાળો તારો દીકરો જ હોય, બીજું કોઇ ન હોય.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 6:00 am

ભાજપ પ્રમુખના મોઢા પર પરસેવો બાજી ગયો:કાર્યકરો માટે તડકે શેકાયા, ચાલુ સ્પીચમાં જ છાંયડો આવી ગયો; ટેલિફોન ઊંધો મુકતાં જ PGVCLની ઓફિસે ટોળાંએ ગરમી કરી

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 6:00 am

સ્વાસ્થ્યને શિક્ષણનો ભાગ બનાવાયો:પરીક્ષા સાથે ફિટનેસ ટેસ્ટમાં પાસ તો જ નવા સેમેસ્ટરમાં એન્ટ્રી

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સહિત દેશની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં હવે ડિગ્રી મેળવવા પુસ્તકિયા જ્ઞાન સાથે શારીરિક ક્ષમતા પણ સાબિત કરવી પડશે. UGC દ્વારા જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા મુજબ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને શિક્ષણનો ભાગ બનાવાયો છે. NEP-2020ને અનુરૂપ આ ફેરફારો દરેક યુનિવર્સિટીએ લાગુ કરવાના રહેશે. હવે 12 મિનિટની દોડ, પુશ-અપ્સ કે સિટ-અપ્સ સહિત શારીરિક કસોટીમાં દેખાવથી જ વિદ્યાર્થીને આગામી સેમેસ્ટરમાં પ્રવેશ અપાશે. UGC કહે છે કે કોલેજોમાં રમતગમતની સુવિધાનો ઉપયોગ મર્યાદિત રહેવાથી શારીરિક પ્રવૃત્તિને મૂલ્યાંકન પદ્ધતિ સાથે જોડાઈ છે. વિદ્યાર્થીની સહનશક્તિ અને સંકલન ક્ષમતાથી તેને શૈક્ષણિક રીતે લાયક ગણાશે. VNSGU દ્વાર પણ નવી માર્ગદર્શિકા અમલમાં મૂકવા તૈયારી શરૂ કરી છે. જે અમલમાં આવ્યા બાદ સુરત સહિત દક્ષિણ ગુજરાતની કોલેજોમાં નવી માર્ગદર્શિકાનું પાલન થશે. આ છે કૂપર ટેસ્ટ અને મહત્વUGC દ્વારા દાખલ 12 મિનિટની દોડ પાછળ વૈજ્ઞાનિક અભિગમ છે. ડો. કેનેથ કૂપરે 1968માં અમેરિકન આર્મી માટે આ ટેસ્ટ તૈયાર કરી હતી. તે ફેફસાં દ્વારા ઓક્સિજન લેવાની મહત્તમ ક્ષમતા માપે છે. શારીરિક પ્રવૃત્તિ દરમિયાન શરીરમાં એન્ડોર્ફિન હોર્મોન્સ મુક્ત થાય છે, જે કુદરતી રીતે તણાવ ઘટાડી યાદશક્તિ વધારે છે. વિશ્વની ટોચની યુનિવર્સિટીઓમાં આ પદ્ધતિ પહેલેથી અમલી છે. મારા કામની વાતઆ છે 12 મિનિટની ફિટનેસ ફોર્મ્યુલા આ ફેરફાર VNSGUમાં થશે

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 5:58 am

નોકરી ન્યુઝ:રેલવેમાં 11,127 આસિસ્ટન્ટ લોકો પાયલોટની ભરતી થશે, માસિક પગાર રૂ. 35 હજારથી વધુ

રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB) દ્વારા આસિસ્ટન્ટ લોકો પાયલોટ (ALP) ની 11,127 જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. લાયક ઉમેદવારો 15 મેથી 14 જૂન 2026 સુધી ઓનલાઇન અરજી કરી શકશે. પસંદગી પામનાર ઉમેદવારોને 7મા પગાર પંચ મુજબ લેવલ-2 માં ₹19,900 ના બેઝિક પગાર ઉપરાંત નિયમ મુજબના ભથ્થાં મળી કુલ ₹35,000 થી વધુ માસિક વેતન મળવાપાત્ર થશે. અરજી કરનાર ઉમેદવારની વયમર્યાદા 18 થી 30 વર્ષ નક્કી કરવામાં આવી છે. 5 તબક્કા બાદ ઉમેદવારની પસંદગી કરાશે આ શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી અરજી કરવાની રીત :ઉમેદવારે rrbapply.gov.in પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આધાર અને માર્કશીટ મુજબ વિગતો ભરી, ફોટો-સહી અપલોડ કરી ફી ભરીને પ્રિન્ટ મેળવી લેવાની રહેશે.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 5:56 am

તંત્ર દ્વારા નવી પોલિસી લાગુ કરાઈ:‘લાલ કેસ’માં હવે દવા જાતે ખરીદવી પડશે, બાદમાં બિલનું રિફંડ મળશે

પાલિકામાં બીમારીની સારવાર માટે અપાતા ‘લાલ કેસ’ના લાભાર્થીએ હવે ગાંઠના ગોપીચંદન કરવા પડશે. અત્યાર સુધી પાલિકાની હોસ્પિટલોમાં દવા ફ્રી મળતી હતી તે હવે બંધ કરાઈ છે. તંત્રને ફરિયાદો મળી હતી કે, કેટલાક મેડિકલ સ્ટોર- લાભાર્થીઓ ‘સેટિંગ’માં દવાની આડમાં કોસ્મેટિક્સ ખરીદી બોગસ બિલ બનાવી નાણાં પડાવતા હતા. જેથી અમદાવાદની જેમ નવી પોલિસી બનાવી છે. પાલિકાના કર્મચારીઓ-કોર્પોરેટરો મુખ્ય લાભાર્થી દવાના નામે કોસ્મેટિક્સ ખરીદી ચૂનો ચોપડાતો હતોલાભાર્થીઓ સ્મીમેર, મસ્ક્તી કે 50 બેડની હોસ્પિટલોમાં મેડિકલ સ્ટોર્સ પરથી પ્રિસ્ક્રિપ્શન બતાવીને મફત દવા લેતા હતા. સ્ટોર સંચાલકો પાલિકા પાસેથી નાણાં મેળવતા હતા, પરંતુ હવે લાભાર્થીએ શહેરના કોઈ પણ મેડિકલ સ્ટોર પરથી દવા ખરીદવી પડશે, જેનું પૂરેપૂરું બિલ પોતે જ ચૂકવવું પડશે. બિલની રકમ પરત મેળવવા અરજી કરવાની રહેશે.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 5:54 am

વસ્તી ગણતરીનું કાઉન્ટડાઉન શરૂ થયું:14 હજાર ગણતરીદાર-સુપરવાઈઝર 18 લાખ મિલકતનો ડિજિટલ સર્વે કરશે

વસ્તી ગણતરી માટે શહેરમાં કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ વખતે સંપૂર્ણ પ્રક્રિયા ડિજિટલ હશે, જેમાં 18 લાખ રહેણાંક અને વ્યાપારી મિલકતોમાં ડોર ટુ ડોર માહિતી મેળવાશે. આ કામગીરી માટે આશરે 12 હજાર ગણતરીદાર અને 2 હજાર સુપરવાઈઝરની નિમણૂંકનું આયોજન કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા કર્મચારીઓની વિગતો એકત્રિત કરવાની સાથે ટ્રેનિંગ પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં સત્તાવાર ઓર્ડર જાહેર કરાશે. ગણતરી પ્રક્રિયા દરમિયાન દરેક ગણતરીદારે ઓછામાં ઓછા 150 અને વધુમાં વધુ 200 ઘરમાં જઈ માહિતી ભેગી કરવાની રહેશે. દરેક પરિવારમાં સભ્યોની સંખ્યા, શિક્ષણ, રોજગાર, સ્થળાંતર અને રહેણાંક સંબંધિત વિગતો ડિજિટલ રીતે નોંધાશે અને સીધી સર્વર પર અપલોડ થશે. 2011માં વસ્તી 46.45 લાખ હતી2011 મુજબ શહેરની વસ્તી 46.45 લાખ હતી, જે હવે 1 કરોડની નજીક પહોંચી હોવાનો અંદાજ છે. ડિજિટલ ગણતરી રિયલ ટાઈમ ડેટા ઉપલબ્ધ કરાવશે, જેથી શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાફિક મેનેજમેન્ટ, પાણી પુરવઠો, સ્વચ્છતા અને આરોગ્ય સેવાઓ માટે વધુ ચોક્કસ આયોજન શક્ય બનશે. આ ગણતરી માત્ર આંકડાકીય પ્રક્રિયા નહીં પરંતુ શહેરના ભાવિ વિકાસ માટે બ્લુપ્રિન્ટ સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 5:51 am

કલેક્ટરની સંકલન બેઠક યોજાઈ:સંકલન બેઠકમાં અશાંતધારો, ટ્રાફિક-ભેળસેળના મુદ્દા ગાજ્યા

સંકલન-ફરિયાદ સમિતિની બેઠક ડીડીઓ શિવાની ગોયલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીમાં મળી, જેમાં ધારાસભ્યો અરવિંદ રાણા, વિનુ મોરડિયા અને પ્રવીણ ઘોઘારીએ અશાંતધારા, ટ્રાફિક અને ખાદ્ય ભેળસેળ મુદ્દે રજૂઆતો કરી હતી. જ્યાં મેટ્રોની કામગીરી પૂર્ણ થઈ હોય તેવાં સ્થળોએ બેરિકેડ હટાવોધારાસભ્ય વિનુ મોરડિયાએ રજૂઆત કરી હતી કે, ‘અમરોલી નજીક અંજની ઈન્ડસ્ટ્રીઝમાં કેનાલનું નાળું પહોળું કરવામાં આવે, કતારગામમાં વાહનોમાં ફ્રુટ વેચતા ફેરિયાઓથી ટ્રાફિક સમસ્યા સર્જાય છે, જેથી દબાણો દૂર કરવા તથા ડભોલી ચાર રસ્તા નજીક રોંગ સાઈડ પર ગાડી ચલાવનારા સામે કાર્યવાહી કરવામાં આવે. ભેળસેળયુકત ખોરાક વેચનારા વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી થાય, ભજિયાં-ફરસાણ બનાવવા તેલને વારંવાર ઉકાળાતાં આરોગ્યને નુકસાન થાય છે, તેમની વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવે.’ ધારાસભ્ય અરવિંદ રાણાએ રજૂઆત કરી હતી કે, ‘અશાંતધારા હેઠળ મિલકત તબદીલ કરવા પહેલાં પાડોશીઓના અભિપ્રાય લેવામાં આવે તથા બોર્ડ કે બેનર લગાવીને મિલકતની વિગતો જાહેર કરવામાં આવે.’ ધારાસભ્ય પ્રવિણ ઘોરારીએ રજૂઆત કરી હતી કે, ‘લંબેહનુમાન રોડ પરનું ગરનાળું લાંબા સમયથી બંધ છે અને રોડ પર મેટ્રોની કામગીરીથી લોકોને મુશ્કેલી પડી રહી છે, જેથી જ્યાં કામગીરી પૂર્ણ થઈ હોય તેવાં સ્થળોએ બેરિકેડ હટાવવામાં આવે.’

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 5:50 am

DGTR દ્વારા કેન્દ્રીય નાણાં મંત્રાલયને ભલામણ:‘નાયલોન યાર્ન ઉપર 24થી 80 રૂપિયા એન્ટિ ડમ્પિંગ ડ્યુટી લાદો’

નાયલોન યાર્ન પર એન્ટિ ડમ્પિંગ ડ્યુટી લાદવા ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડિઝ (ડીજીટીઆર)એ નાણાં મંત્રાલયને ભલામણ કરી છે. વિવિધ કંપનીઓના નાયલોન યાર્ન પર પ્રતિ કિલો 24 રૂપિયાથી લઈને 80 રૂપિયા સુધી ડ્યુટી લગાડવાની ભલામણ કરી છે. સ્પિનર્સ લાંબા સમયથી એન્ટિ ડમ્પિંગ ડ્યુટી કે મિનિમમ ઈમ્પોર્ટ પ્રાઈઝ (MIP) લાગુ કરવા માંગ કરી રહ્યા છે, જેથી આ પગલું ભરાયું છે. બીજી તરફ, વીવરો અને યાર્ન ઈમ્પોર્ટરોમાં આ નિર્ણયને લઈને નારાજગી જોવા મળી રહી છે. તેઓ માને છે કે, આ નિર્ણયથી ઉત્પાદન ખર્ચમાં વધારો થશે અને સ્પર્ધાત્મકતા પર અસર પડશે. ભાસ્કર ઇનસાઇટચીનથી મંગાવાતા લો-ક્વોલિટી યાર્નનું ડમ્પિંગ રોકવા ડ્યુટી જરૂરીસુરતમાં એરજેટ-વોટરજેટ લૂમ્સમાં નાયલોન યાર્નનો વ્યાપક છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે ચીનમાંથી આવતા હલકી ગુણવત્તાના યાર્નનું ડમ્પિંગ રોકવા ડ્યુટી જરૂરી છે, પરંતુ તેની અસર પ્રિમિયમ ડબલ એ ગ્રેડ યાર્ન વાપરતા વીવરો પર પડશે. આવા વીવર્સને વધુ ખર્ચે આયાત કરવું પડશે, જેના કારણે તેમની મુશ્કેલી વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ડીજીટીઆરની ભલામણ બાદ 90 દિવસની અંદર નાણાં મંત્રાલય નોટિફિકેશન જાહેર ન કરે તો ભલામણ આપમેળે રદ થશે.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 5:49 am

મીની વાવાઝોડાએ સર્જી તારાજી:વાવાઝોડામાં વેસુમાં ફનફેરનો ગેમઝોન વેરવિખેર, લગ્નના સેટ તૂટી પડ્યા, વાતાવરણ ખુલતાં 2 દિવસમાં ગરમી 37 ડિગ્રી થઈ શકે

ગુરુવારે સાંજે શહેરમાં વાવાઝોડું ફૂકાયા બાદ શુક્રવારે વાતાવરણ ખુલ્યું હતું. આગામી 48 કલાક દરમિયાન ગરમીનો પારો 34થી 37 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી છે. શુક્રવારે મહત્તમ તાપમાન 1.8 ડિગ્રી ઘટીને 32 ડિગ્રી અને લઘુતમ 20 ડિગ્રી 1.2 ડિગ્રી ઘટીને નોંધાયું હતું, જેથી સવારે હળવી ઠંડીનો અનુભવ થયો હતો. જો કે, દિવસે ગરમીનો અહેસાસ યથાવત રહ્યો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ નોંધપાત્ર રહ્યું હતું. સવારે 86 ટકા અને સાંજે 42 ટકા હતું. ઉપરાંત ઉત્તર-પૂર્વ દિશાથી આશરે 8 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાતાં ગરમીમાં રાહત મળી હતી. આગાહી મુજબ આગામી દિવસોમાં ગરમીમાં સતત વધારો થઈ શકે છે. 100 કિમીની ઝડપે પવન ફૂંકાતાં સેટનાં ચીથરાં ઊડી ગયાંગુરુવારે 80થી 100 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકાતાં શહેરભરમાં ઠેર-ઠેર નુકસાની થઈ હતી. વેસુમાં ભગવાન મહાવીર કોલેજ પાસે લગ્નના સેટનાં ચીથરાં ઊડી ગયાં હતાં.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 5:47 am

વરાછાના રત્નકલાકારને સાયબર માફિયાનો ભેટો થયો:RTO ચલણની .apk ફાઇલથી 4.36 લાખ ટ્રાન્સફર કરી લેવાયા

વરાછાના રત્નકલાકારને સાયબર માફિયાએ આરટીઓ ચલણની એપીકે ફાઇલ મોકલીને ફોન હેક કરી ખાતામાંથી રૂ.4.36 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. લંબેહનુમાન રોડ પર વર્ષા સોસાયટી-2માં રહેતા મનોજ ડાહ્યાભાઈ હડિયા હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. 14 જુલાઇ, 2025ના રોજ તેમના વોટ્સએપ પર આરટીઓ ચલણની એપીકે ફાઇલ આવી હતી, જેથી આરટીઓમાંથી આ મેસેજ આવ્યો હોવાનું માનીને મનોજે ફાઇલ ઓપન કરતાં જ મોબાઇલ ફોન હેક થઇ બંધ થઇ ગયો હતો. દરમિયાનમાં ગઠિયાએ તેમના મોબાઇલ ફોનનું એક્સેસ મેળવી લઇને તેના આધારે તેમના બેંક એકાઉન્ટમાંથી રૂ.4,36,985 ટ્રાન્સફર કરી લીધા હતા. બાદમાં જ્યારે તેમનો મોબાઇલ ફોન ચાલુ થયો તો રૂપિયા ટ્રાન્સફર થયા હોવાના બેંકમાંથી મેસેજ આવ્યા હતા. આ અંગે તેમણે બેંકમાં જાણ કરી હતી. જો કે, નાણાં પરત નહીં મળતાં આખરે વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં સાયબર ફ્રોડનો ગુનો નોંધી તપાસ આદરી છે.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 5:44 am

સોમવારે સાંજે અને મંગળવારે સવારે પુરવઠો ખોરવાશે:મેટ્રો સ્ટેશનની કામગીરી માટે અઠવામાં 2 દિવસ પાણીકાપ

મેટ્રોનું સ્ટેશન બનાવવા અગાઉ નડતરરૂપ પાણીની લાઈન ખસેડવાની હોવાથી 23 અને 24 માર્ચે અઠવા ઝોન વિસ્તારમાં પાણી કાપ રહેશે. અલથાણ જળવિતરણ મથક પાસે મેટ્રોના વી.આઈ.પી. રોડ સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે. આ કામગીરીમાં 1200 મી.મી. વ્યાસની કોમનહેડર લાઈન નડતરરૂપ હોવાથી તેને શિફ્ટ કરવાનું આયોજન કરાયું છે. આ ટેકનિકલ કામગીરી 23 માર્ચના રોજ સવારે 9 કલાકથી શરૂ કરવામાં આવશે, જે મોડી રાત સુધી ચાલશે. આ દરમિયાન અંડરગ્રાઉન્ડ ટાંકીઓ ભરી શકાશે નહીં, જેથી પાણી વિતરણ વ્યવસ્થા પર અસર પડશે તેવું હાઇડ્રોલિક ખાતાએ જણાવ્યું હતું. લાઈન શિફ્ટિંગની કામગીરી મોટી હોવાથી લોકોને આગોતરા આયોજનરૂપે પાણી ભરી લેવા જણાવાયું છે. કામગીરી પૂર્ણ થયા બાદ ઓછા પ્રેશરથી પાણી આવવાની શક્યતા રહેલી છે. આ પાણી કાપથી 5 લાખથી વધુ લોકોને અસર પહોંચશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોને પાણીનો સંગ્રહ કરવા અને કરકસરપૂર્વક ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી હતી. અઠવાના કયા વિસ્તારમાં ક્યારે પાણી બંધ રહેશે? સોમવાર, 23 માર્ચના રોજ (સાંજનો સપ્લાય: 3થી 6) મંગળવાર 24 માર્ચ (સવારનો સપ્લાય: 5થી 8)

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 5:43 am

1લી એપ્રિલથી GCAS રજિસ્ટ્રેશન:GCASમાં 6 ખાનગી યુનિ.નો સમાવેશ, પરંતુ મોટી યુનિવર્સિટી હજુ બાકાત, રાજકોટની એક પણ નહીં!

રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટેના ‘જીકાસ’ (GCAS) પોર્ટલનો વ્યાપ વધારવા સરકારે આ વર્ષે ખાનગી યુનિવર્સિટીઓમાં પણ GCAS પોર્ટલથી એડમિશન કરવામાં આવનાર છે. જોકે, આશ્ચર્યજનક રીતે રાજ્યની આશરે 85થી વધુ ખાનગી યુનિવર્સિટીઓમાંથી માત્ર 6 યુનિવર્સિટીઓમાં જીકાસના માધ્યમથી પ્રવેશ આપવાની તૈયારી દર્શાવી છે. સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે, સૌરાષ્ટ્રનું એજ્યુકેશન હબ ગણાતા રાજકોટની એક પણ ખાનગી યુનિવર્સિટીને હજુ સુધી GCASની આ પ્રક્રિયામાં જોડાવામાં આવી નથી. રાજકોટ અને આસપાસના વિસ્તારમાં અનેક નામી ખાનગી યુનિવર્સિટીઓ આવેલી છે, જે દર વર્ષે હજારો વિદ્યાર્થીઓને પ્રવેશ આપે છે. આમ છતાં, જીકાસ પોર્ટલ હેઠળ અત્યાર સુધીમાં જે 6 યુનિવર્સિટીઓના નામ જાહેર થયા છે તેમાં રાજકોટની એક પણ યુનિવર્સિટીનું નામ નથી. શું રાજકોટની યુનિવર્સિટીઓ પોતાની એડમિશન પ્રક્રિયા પર કોઈનું નિયંત્રણ નથી ઈચ્છતી? કે પછી જીકાસના અગાઉના કડવા અનુભવોને કારણે અંતર જાળવ્યું છે? તેવા પ્રશ્નો વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ચર્ચાઈ રહ્યા છે. જાણવા મળતી માહિતી મુજબ હાલ સુરત, અમદાવાદ, ગાંધીનગર અને સણોસરા જેવી માત્ર 6 સંસ્થાઓને જ મંજૂરી આપી છે. પરંતુ હજુ પણ રાજ્યની મોટી અને પ્રખ્યાત ખાનગી યુનિવર્સિટીઓ આ કેન્દ્રીયકૃત પ્રવેશ પ્રક્રિયાથી દૂર રહી છે. છેલ્લા બે વર્ષથી સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા જીકાસ પોર્ટલ દ્વારા કરવામાં આવે છે. કોલેજ સંચાલકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા પણ અનેક ફરિયાદો કરવા છતાં શિક્ષણ વિભાગ હજુ પણ આ પોર્ટલથી જ એડમિશન પ્રક્રિયા કરવા વળગી રહ્યું છે. ગયા વર્ષે 30 થી વધુ રાઉન્ડ કરવા છતાં મોટાભાગની કોલેજોમાં બેઠકો ખાલી રહી હતી. આ વર્ષે પણ આ જ સિસ્ટમથી પ્રવેશ પ્રક્રિયા થશે. 1લી એપ્રિલથી GCASનું રજિસ્ટ્રેશન શરૂ થવાનું છે1લી એપ્રિલથી રજિસ્ટ્રેશન શરૂ થવાનું છે ત્યારે વિદ્યાર્થીઓમાં ભારે મૂંઝવણ જોવા મળી રહી છે. જો મનપસંદ ખાનગી યુનિવર્સિટી જીકાસમાં ન હોય તો શું અલગથી ફોર્મ ભરવું પડશે? અગાઉ 32-32 રાઉન્ડ ચાલ્યા હોવા છતાં વિદ્યાર્થીઓ રઝળી પડ્યા હતા ત્યારે આ વર્ષે માત્ર 3 રાઉન્ડમાં પ્રક્રિયા પૂર્ણ કરવાની જાહેરાત કેટલી સફળ રહેશે તે તો સમય જ બતાવશે. સરકાર પ્રવેશના ચોક્કસ નિયમો જાહેર કરે તે પહેલાં રાજકોટની ખાનગી યુનિવર્સિટીઓ આમાં જોડાશે કે કેમ તેના પર સૌની મીટ મંડાયેલી છે.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 5:39 am

ફાર્મસી રિસર્ચમાં હવે AIનો દબદબો:ફાર્મસીના વિદ્યાર્થીઓ AI, પાયથોન શીખી ગ્લોબલ માર્કેટ માટે તૈયાર થશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ફાર્મસી ભવન હવે પરંપરાગત શિક્ષણથી આગળ વધીને ટેક્નોલોજીના માર્ગે ડગ માંડી રહ્યું છે. નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG) અને ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનના સંયુક્ત ઉપક્રમે આગામી 23 થી 27 માર્ચ દરમિયાન ‘એમ્પાવરિંગ એજ્યુકેટર્સ વિથ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન રિસર્ચ’ વિષય પર પાંચ દિવસીય નેશનલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં ફાર્મસી, કમ્પ્યુટર અને AI એમ ત્રણેય ક્ષેત્રના નિષ્ણાતો વિદ્યાર્થીઓ અને રિસર્ચ સ્કોલર્સને હાઈટેક તાલીમ આપશે. વર્કશોપમાં ડૉ. મહેશ જીવાણી (AIની ઉપયોગિતા), ડૉ. અતુલ ગોસાઈ (મશીન લર્નિંગ), ડૉ. કેવિન ગરાળા (AI ટૂલ્સ), ડૉ. દિપીકા ચાવડા અને ડૉ. સન્ની શાહ જેવા અનુભવી અધ્યાપકો રિસર્ચ સ્કોલર્સના પ્રશ્નોનું નિરાકરણ લાવશે. આ આયોજન માટે ભવનના હેડ ડૉ. પ્રિયા પટેલ અને કો-ઓર્ડિનેટર ડૉ. તૃપેશ પેથાણીની કામગીરીને કુલપતિ ડૉ. ઉત્પલ જોષીએ બિરદાવી છે. માત્ર 60 જેટલી મર્યાદિત સંખ્યા હોવાથી રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. વિદ્યાર્થીઓને ટેક્નોલોજીની આટલી બાબતો શીખવા મળશે

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 5:37 am

રાજકોટ નજીક પોલીસનો દરોડો:કુવાડવા રોડ પરથી 5.85 લાખનું શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી ઝડપાયું, બેની ધરપકડ

રાજકોટના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ માલિયાસણ-ખેરડી રોડ પર પેટ્રોલિંગમાં હતો ત્યારે એક આઈસર ગાડી શંકાસ્પદ હાલતમાં ઉભેલી જણાતા પોલીસે પંચોની હાજરીમાં તપાસ કરતા ટ્રકના પાછળના ભાગે પ્લાસ્ટિકના બે મોટા ટાંકા મળી આવ્યા હતા, જેમાં જ્વલનશીલ પ્રવાહી ભરેલું હતું. પકડાયેલા શખ્સોએ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું કે આ માલ “બાયોડીઝલ’’ છે અને તે રણજીતભાઈ બાબુભાઈ ટોયટા તથા સુરેશભાઈ કારેઠાનો હોવાનું કબૂલ્યું હતું. પોલીસે આ મામલે વધુ પૂછપરછ કરતા માલધારી સોસાયટીમાં રહેતા એક શખ્સે પોતાનું નામ અશોક ગોવિંદભાઈ ચૌહાણ અને બીજાએ પોતાનું નામ મુન્ના રામાભાઈ કારેઠા હોવાનું જણાવ્યું હતું. પોલીસે જ્વલનશીલ પ્રવાહીનો રૂ.5.85 લાખનો 9000 લિટરનો જથ્થો અને આઈસર ટ્રક કબજે કરી રૂ.11.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 5:34 am

ઇદ ઉલ ફિત્રની થશે ભવ્ય ઉજવણી:રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે ઇદની ઉજવણી

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઇસ્લામ ધર્મનો પવિત્ર અને તહેવાર એટલે રમઝાન ઇદ ઉજવાશે. જેને ઇદ ઉલ ફિત્ર પણ કહેવામાં આવે છે. રમઝાન માસ દરમિયાન મુસ્લિમ સમાજના લોકો રોજા (ઉપવાસ) રાખે છે. 29 કે 30 દિવસના રોજા પૂર્ણ થયા પછી, ચાંદના દર્શન થતાં જ બીજા દિવસે ઈદ ઉજવાય છે અને અલ્લાહનો આભાર માને છે કે, તેમને અલ્લાહે પવિત્ર રમઝાન માસ ફરી વાર નસીબ કર્યું અને રોઝા રાખવાની તાકાત આપી. ઈદ પહેલા “સદકા એ ફિત્ર’ (જે એક દાનનો પ્રકાર છે) આપવું જરૂરી હોય છે જેથી ગરીબ લોકો પણ ઈદની ખુશી માણી શકે. ઈદના દિવસે ખાસ નમાઝ (ઈદની નમાઝ) અદા કરવામાં આવે છે અને ત્યારબાદ આ ઇદના તહેવારમાં ભાઈચારો અને એકતા પણ જોવા મળે છે જેમાં લોકો નવા કપડા પહેરે છે એકબીજાને ગળે મળે છે, “ઈદ મુબારક” કહે છે અને પ્રેમ વધારતા સંદેશ આપે છે. આજના દિવસે સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે જેમ કે શીરખુરમા, સેવૈયા, વિવિધ મીઠાઈઓ અને ખાસ ભોજન બનાવાય છે. આ અંગે સૈયદ એજાઝબાપુ બુખારી, વકાર બ્લોચ સકલૈનીએ જણાવ્યું હતું કે, ઈદ ઉલ ફિત્રનો તહેવાર આપણને શીખવે છે કે માણસે જીવદયા રાખવી, ગરીબોની મદદ કરવી, પ્રેમ અને શાંતિ ફેલાવવી. કોર્પોરેશન ચોકમાં આવેલ ઇદગાહ તથા શહેરની તમામ મસ્જિદમાં સવારે ખાસ નમાઝ પઢવામાં આવશે. આલા હઝરત ગ્રૂપની અનોખી સેવા, 30 દિવસ ઇફ્તારી, ન્યાઝની વ્યવસ્થા કરાઇ હતીરાજકોટના રૈયા રોડ વિસ્તારમાં રઝાનગર ખાતે આવેલ રઝા મસ્જિદે આલા હઝરત ગ્રૂપ દ્વારા સમગ્ર રમઝાન માસ દરમિયાન 30 દિવસ સુધી ઇફ્તારી અને ઇફ્તારી પછી ન્યાઝની અવિરત વ્યવસ્થા કરાઇ હતી. ગ્રૂપના તમામ મેમ્બર્સને સન્માનિત કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 5:32 am

સાઇબર ઠગાઈ:RTOના નામે લિંક આવી, ક્લિક કરતાં જ વૃદ્ધ દંપતીના રૂ. 10.66 લાખ ઉપડી ગયા

રાજકોટના કાલાવડ રોડ પર રહેતા 74 વર્ષીય વૃદ્ધને નિશાન બનાવી મોબાઈલમાં RTOના નામે લિંક મોકલવામાં આવી હતી. જે લિંક પર ક્લિક કરતાં જ વૃદ્ધ દંપતીના ખાતામાંથી રૂ.10.66 લાખ ઉપડી ગયા હતા. આ બનાવમાં કાલાવડ રોડ, વાઈટ હાઉસ 6 રોયલ પાર્કમાં રહેતા ચિરાગભાઈ બાબુલાલ ડેડકિયા (ઉં.વ.41)એ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ પોતે ખાનગી કંપનીના સીઈઓ તરીકે નોકરી કરે છે. ચિરાગભાઈના પિતા બાબુલાલ અને માતા દિવ્યાબેનનું યશ બેંકનું ખાતું લિંક કરેલું છે. ગત તા.30 ડિસેમ્બરના રોજ તેમના વોટ્સએપ પર એક સંબંધીના નંબર પરથી ‘’RTO E-CHALAN.apk’’ નામની લિંક આવી હતી. વૃદ્ધે આ ફાઈલ ડાઉનલોડ કરતા જ ઠગોએ તેમના મોબાઈલનો એક્સેસ મેળવી લીધો હતો. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. વૃદ્ધનો મોબાઈલ હેક કરી OTP અને કોલ ડાયવર્ટ કર્યાઠગોએ વૃદ્ધનો મોબાઈલ હેક કરી તમામ મેસેજ અને કોલ પોતાના નંબર પર ફોરવર્ડ કરી દીધા હતા. બાબુલાલભાઈનો મોબાઈલ નંબર તેમના પત્ની દિવ્યાબેનના બેંક ખાતા સાથે લિંક હોવાથી ઠગોએ એક પછી એક 10 ટ્રાન્ઝેક્શન કર્યા હતા. ટ્રાન્ઝેક્શનના OTP ઠગોના મોબાઈલ પર જતા હોવાથી વૃદ્ધને છેક સુધી ખબર ન પડી કે તેમનું ખાતું ખાલી થઈ રહ્યું છે. ફરિયાદીએ તાત્કાલિક 1930 હેલ્પલાઈન જાણ કરતા ગઠિયાએ કરેલા બે ટ્રાન્ઝેક્શન ફેલ થયા હતા, જેના કારણે રૂ.1.86 લાખ પરત મળી શક્યા છે. જોકે બાકીના રૂ.8.80 લાખ હજુ પણ ઠગોના કબજામાં છે.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 5:30 am

વરસાદ બાદ ઠંડક પ્રસરી:રાજકોટમાં લઘુતમ તાપમાન ગગડીને 17.6 ડિગ્રી, સૌરાષ્ટ્ર માટે હજુ 24 કલાક ભારે

સૌરાષ્ટ્રના આકાશમાં જાણે ઋતુઓનું મિશ્રણ થયું હોય તેવો ઘાટ સર્જાયો છે. રાજ્યના હવામાન વિભાગની આગાહી વચ્ચે ગતરોજ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં માવઠાએ હાહાકાર મચાવ્યો હતો. ગત 19 માર્ચની રાત્રિએ ફૂંકાયેલા તેજ પવન અને કમોસમી વરસાદને કારણે શુક્રવારની સવારે રાજકોટવાસીઓએ માર્ચ મહિનામાં જાન્યુઆરી જેવો શિયાળો અનુભવ્યો હતો. શહેરનું લઘુતમ તાપમાન ગગડીને 17.6 ડિગ્રીએ પહોંચતા વહેલી સવારે ‘ગુલાબી ઠંડી’નો અહેસાસ થયો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યના 72 તાલુકામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. રાજકોટમાં સવારના 8:30 વાગ્યા સુધીના 24 કલાકમાં 37.6 મીમી એટલે કે દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.જેના પગલે શુક્રવારે તાપમાનમાં ભારે ઉતાર ચડાવ જોવા મળ્યો હતો. સવારે 8:30 કલાકે 21 ડિગ્રી, બપોરે 2:30 કલાકે પારો 31.4 ડિગ્રીએ પહોંચ્યો અને સાંજે 5:30 કલાકે 33.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ આગામી 24 કલાક સુધી રાજ્ય પર વરસાદી વાદળોની ઘાત તોળાઈ રહી છે. જોકે, આ સંકટ બાદ ધીમે-ધીમે વાતાવરણ ચોખ્ખું થશે અને તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો તોતિંગ વધારો જોવા મળશે. એટલે કે, રવિવારથી ફરી સૂર્યદેવ આકરા પાણીએ થશે અને ગરમીનો પારો ફરી 35 થી 37 ડિગ્રીને પાર કરી જવાની શક્યતા છે. આ વિષમ આબોહવાને કારણે લોકોના આરોગ્ય પર પણ અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. યાર્ડમાં 70-80 મણ મગફળી પાણીમાં તણાઈ : શેડમાં રાખેલો માલ ભીંજાયોસૌરાષ્ટ્રમાં અચાનક આવેલા તોફાની માવઠાએ ખેતરો અને માર્કેટયાર્ડને પણ અસર કરી છે. રાજકોટ માર્કેટયાર્ડમાં એક ખેડૂત દ્વારા પાણી નિકાલની જગ્યાની નજીક મુકવામાં આવેલ 70થી 80 મણ મગફળીનો જથ્થો વરસાદી પાણીમાં તણાઈ ગયો હતો. યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ, માવઠાની આગાહી હોવા છતાં માલની યોગ્ય રીતે વ્યવસ્થા ન થતાં નુકસાન વધ્યું. આ ઉપરાંત, શેડ હેઠળ રાખવામાં આવેલ કૃષિ માલ પણ વરસાદના છાંટાના કારણે ભીંજાઈ ગયો હતો. વેપારીઓએ દુકાનોની બહાર મુકેલો 30 થી 40 ગુણી રાયડો પલળી ગયો હતો. જોકે તેની જવાબદારી વ્યક્તિગત ગણાય છે. હાલ પણ વાતાવરણ અસ્થિર હોવાથી ઘઉં, ધાણા, મેથી અને તુવેરની આવક બંધ જ રાખવામાં આવી છે. યાર્ડમાં બેદરકારી ભારે પડીવરસાદને કારણે ખેડૂતની મગફળી પાણીમાં તણાઇ જતા ભારે નુકસાન થયું છે. પરંતુ યાર્ડ દ્વારા તેમને આ નુકસાન થવા નહીં દેવાય અને તેની ભરપાઇ કરી દેવામાં આવશે. > જયેશ બોઘરા, ચેરમેન, માર્કેટિંગ યાર્ડ, રાજકોટ

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 5:28 am

સાઇબર ઠગ ઝડપાયો:20 હજાર રૂપિયાના કમિશન માટે સાઇબર ગઠિયાને બૅન્ક ખાતું ભાડે આપનાર ઝડપાયો

સાઇબર ફ્રોડનાં નાણાં માટે બૅન્ક ખાતું ભાડે આપતા લોકોની તપાસ પાલડી પોલીસ કરી રહી છે, ત્યારે કેટલાંક બૅન્ક ખાતાંમાં કેરલા, તામિલનાડુ અને ઉત્તરપ્રદેશમાં નોંધાયેલી સાઇબર ક્રાઈમની ફરિયાદોનાં નાણાં સગેવગે કર્યાં હોવાનું જણાયું હતું. આથી પોલીસે બૅન્ક ખાતાંધારક બે લોકો સામે ગુનો નોંધી એકની ધરપકડ કરી છે. તપાસમાં 10 લાખથી વધુની રકમ મેળવી રૂ. 20 હજાર કમિશન લીધાનું સામે આવ્યું હતું. પાલડી પોલીસ સાઇબર ક્રાઈમની ટીમને એક બેંક ખાતું શંકાસ્પદ જણાતા તપાસ કરતા ગોમતીપુરમાં રહેતા 34 વર્ષીય સાહિલ અંસારીના બેંક ખાતાં સામે કેરલ, તામિલનાડુ અને ઉત્તરપ્રદેશમાં સાયબર ફ્રોડની 4 ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં સાહિલ અંસારીએ તાહા તન્વીર કાદરીના કહેવાથી આ બેંક ખાતું ખોલાવ્યું હતું. જેમાં ડેબિટ કાર્ડ, ચેકબુક, પિન નંબર તથા બેંક સાથે જોડાયેલ નંબર તાહાને આપ્યા હતા. તાહા કાદરી અને તેની ગેંગ લોકોને ખોટી લોન સ્કીમ અને ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડની લાલચ આપી ઓનલાઈન પૈસા પડાવતા હતા. જુદા જુદા લોકો પાસેથી પડાવેલા રૂ.10 લાખ સાહિલના ખાતામાં જમા કરાવ્યા હતા. જેના બદલામાં સાહિલને રૂ.20 હજારનું કમિશન મળતું. બાકીના રૂપિયા તાહાએ એટીએમ અને ચેકથી ઉપાડી લીધા હતા. જેથી પાલડી પોલીસે સાહિલ અંસારીની ધરપકડ કરી તાહા તન્વીર કાદરીની શોધખોળ આદરી છે. સમન્વય પોર્ટલ પર શંકાસ્પદ ખાતું મળ્યું હતુંસાઇબર ફ્રોડ કરનારાની માહિતી તથા તેઓ કયા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરે છે તેની વિગતો મેળવવા પાલડી પોલીસ સમન્વય પોર્ટલ પર તપાસ કરતી હતી. ત્યારે ગોમતીપુરના સાહિલ કે જેના ખાતાંમાં ટૂંક સમયમાં મોટા પ્રમાણમાં પૈસાની આપલે થયાનું જણાયું હતું. સાહિલના ખાતામાં લાખો રૂપિયા આવવાની સાથે જ ઉપડી રહ્યા હતા. તપાસ કરતા ઠગાઈના પૈસા આવ્યા હોવાનું સામે આવતા પોલીસ એક્ટિવા બની સાહિલને ઝડપ્યો ત્યારે આ મામલે ખુલ્લાસો થયો હતો.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 5:18 am

કેન્દ્રીય વાહન વ્યવહાર વિભાગ દ્વારા નવો નિયમ:ટોલફી બાકી હશે તે વાહન બ્લેકલિસ્ટ 2 નોટિસ પછી 72 કલાકમાં કાર્યવાહી

ટોલટેક્સ બાકી રાખતા વાહનચાલકો સામે હવે કડક પગલાં લેવાશે. કેન્દ્રીય વાહન વ્યવહાર વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા નિયમ મુજબ ટોલ ફી ચૂકવવામાં બાકી રહેતા વાહનધારકોને પહેલા બે વખત નોટિસ આપવામાં આવશે. બીજી નોટિસ આપ્યા બાદ 72 કલાકમાં ચુકવણી ન થાય તો સંબંધિત વાહનને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. વાહન બ્લેકલિસ્ટ થવાથી માત્ર ટોલ પસાર થવામાં જ મુશ્કેલી ઊભી થતી નથી, પરંતુ અન્ય અનેક સેવાઓ પર પણ સીધી અસર પડે છે. ખાસ કરીને ઇન્શ્યોરન્સ રિન્યૂઅલ, પીયુસી સર્ટિફિકેટ અને અન્ય વાહન સંબંધિત પ્રક્રિયાઓ અટકી શકે છે. જેના કારણે વાહનધારકો માટે કાયદાકીય રીતે મુશ્કેલીઓ ઊભી થઇ શકે છે. ડિજિટલ સિસ્ટમ મારફતે હવે વાહનના ટોલ બાકીદારોને ટ્રેક કરી નોટિસ આપવામાં આવશે. જો સમયસર ચુકવણી કરવામાં આવશે તો બ્લેકલિસ્ટની કાર્યવાહી અટકાવી શકાશે. બ્લેકલિસ્ટ થયા બાદ શું થશે? • ઇન્શ્યોરન્સ રિન્યૂઅલ અટકી શકે• પીયુસી સર્ટિફિકેટ મેળવવામાં મુશ્કેલી• વાહન સંબંધિત અન્ય ઓનલાઇન સેવાઓ બંધ• ટોલ પ્લાઝા પર અવરજવર અવરોધિત કાર્યવાહી કેવી રીતે થશે? • પ્રથમ નોટિસ બાદ બાકી ટોલ અંગે જાણ કરાશે• બીજી નોટિસ બાદ કડક પગલા લેવામા આવશે• 72 કલાકનો સમય ચુકવણી માટે• ચુકવણી ન થાય તો વાહન બ્લેકલિસ્ટ

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 5:17 am

વાસણા પોલીસની કાર્યવાહી:સગીરાને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ કરવા ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ

એક ગાર્ડન પાસે જાગ્રત નાગરિક 3 સગીરા અને 3 યુવકને શંકાના આધારે વાસણા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જે બાદ તપાસ કરતા સગીરા પાસેથી ડુપ્લિકેટ આધારકાર્ડ મળ્યું હતું. જે બાદ ખુલ્લાસો થયો હતો કે સગીરાને પ્રેમસંબંધ હોવાથી પ્રેમીએ તેને હોટલમાં લઈ જવા માટે તેના મિત્ર પાસેથી બનાવટી આધાર કાર્ડ બનાવ્યું હતું. આ કેસમાં પોલીસે એક સગીર સહિત કુલ 5 સામે 2 અલગ અલગ ગુના નોંધી 4આરોપીની ધરપકડ કરી છે. ઘટનાની પ્રાપ્ત માહિતી પ્રમાણે વાસણામાં 52 વર્ષીય આધેડ પરિવાર સાથે રહે છે અને લારી ફેરવીને વેપાર કરે છે. ગત 19 માર્ચે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો કે તમારી 15 વર્ષની દીકરીને વાસણા પોલીસ સ્ટેશન લઈ જવાઈ છે. આથી આધેડ ત્યાં પહોંચી પુત્રીને પૂછ્યું ત્યારે જાણવા મળ્યું હતું કે તે મોહમંદ સિરાજ સલમાની નામના યુવકના સંપર્કમાં હતી. બાદમાં બન્ને અવારનવાર મળતા હતા અને હોટલમાં જવું હતું પરંતુ નાની ઉંમરને કારણે હોટલમાં રૂમ મળતો નહોતો. આથી મોહમંદ સિયાજે મિત્ર અરવિંદ ચૌહાણ પાસેથી ખોટું નામ અને ખોટી ઉંમરનું ડુપ્લિકેટ આધારકાર્ડ બનાવ્યું હતું. અને બન્ને હોટલમાં જવાનો પ્લાન કરતા હતા ત્યારે પકડાઈ ગયા હતા. જે બાદ વાસણા પોલીસે સિરાજ અને અરવિંદ સામે ગુનો નોંધ્યો હતો. જે બાદ તપાસ કરતા રિવરફ્રંટ પર 3 સગીરાઓ 3 યુવકો સાથે મળી આવી હતી. આથી સગીરાની પૂછપરછ કરતાં તેમના પણ આધારકાર્ડ બતાવતાં તેમના નામમાં પણ ફેરફાર કર્યા હોવાનું સામે આવ્યું હતું. આથી સગીરાઓને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ કરવાના ઈરાદે બનાવટી આધાર કાર્ડ બનાવવાનું કૌંભાડ ચાલતું હતું. પોલીસે અમીરઅલી શેખ, સિરાજ અસલમાની અને અરવિંદ ચૌહાણ સહિત સગીરની ધરપકડ કરી છે જ્યારે એક ફરાર હોવાથી તેની શોધખોળ શરૂ કરી છે. વાસણા પોલીસે 5 સામે ગુનો નોંધી સગીર સહિત 4 જણની ધરપકડ કરીૉઇન્દોરનું સરનામું, 21 વર્ષની વય બતાવી હોનિસ્ટા એપમાં સગીરાનું બનાવટી આધાર કાર્ડ બનાવ્યું હતું સગીરાનો સંપર્ક ફરાર બ્રિજેશ નામના આરોપીએ બીજા આરોપીઓને કરાવ્યો હતો. જે બાદ મિત્ર બન્યા બાદ તેઓએ એક વોટ્સઅપ ગ્રૂપ બનાવ્યું હતું અને તેમાં વાતચીત કરતા હતા. એટલું જ નહીં સીરાજના કહેવાથી અરવિંદે હોનિસ્ટા નામની એપ્લિકેશનથી સગીરાનું નકલી આધાર કાર્ડ બનાવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. સાથે જ આધારકાર્ડમાં ફોટો સગીરાનો હતો પરંતુ સરનામું ઈન્દોર અને ઉંમર 21 વર્ષની કરી હતી. આથી આ કૌંભાડમાં બીજા કોઈ સામેલ છે કે નહીં પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 5:15 am

ભાસ્કર એક્સક્લુસિવ:CGMSમાં 63% વધારો, 6.28 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા (સીજીએમએસ) 4 એપ્રિલે યોજાશે. પરિણામ એપ્રિલના ત્રીજા સપ્તાહમાં જાહેર કરાશે. સ્વનિર્ભર શાળાઓમાં આરટીઈ એક્ટ હેઠળ ધો. 1માં પ્રવેશ લઈ ધો. 8 સુધી સળંગ અભ્યાસ કરેલા નબળા અને વંચિત વર્ગના વિદ્યાર્થીઓને ધો. 9થી 12 સુધી અભ્યાસ ચાલુ રાખવા સ્કોલરશિપ આપવામાં આવે છે. 2023માં 3,97,417 વિદ્યાર્થીઓ સામે ચાલુ વર્ષે આ સંખ્યા વધીને 6,28,407 પર પહોંચી છે. એટલે કે 63 ટકાનો વધારો થયો છે. મેરિટના આધારે પસંદ થયેલા 25 હજાર વિદ્યાર્થીને પ્રતિ વર્ષ રૂ. 25 હજારની સહાય અપાશે. કુલ રૂ. 62.5 કરોડની સ્કોલરશિપ ફાળવાશે. પરીક્ષા 150 મિનિટની રહેશે. કુલ 120 ગુણના 120 પ્રશ્નો પુછાશે. પરીક્ષાની જાણકારી બાબતે જાગૃતિ વધતા સંખ્યામાં વધારો થયોમુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારા પાછળ એક કરતા વધારે કારણો જવાબદાર છે. સરકાર દ્વારા અપાતી સ્કોલરશિપની જાણકારી વાલીઓને મળતા લાભ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. બાળકોમાં રહેલી શૈક્ષણિક ગુણવત્તાને સરકાર તરફથી મળતા પ્રોત્સાહનનો લાભ લેવા પરત્વે જરૂરિયાત મંદ અને વંચિત વર્ગના બાળકોમાં જાગૃત્તિ વધી છે. શાળાના શિક્ષકો પણ વિદ્યાર્થીઓને નાની વયથી સ્કોલરશિપ મેળવવા માર્ગદર્શક બની રહ્યા છે.’ > ડો કિરીટ જોષી, શિક્ષણશાસ્ત્રી ધો. 8નો સળંગ અભ્યાસ કરીને પાસ થયેલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે સીજીએમ પરીક્ષામાં કયા વર્ષમાં કેટલા વિદ્યાર્થી

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 5:12 am

GCCIએ રેલવે સમક્ષ કરી રજૂઆત:અમદાવાદ-ભુજ નમો ભારતનો સમય બદલવા વંદે ભારતને છારોડી સ્ટોપેજ આપવા રજૂઆત

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઈ)ના હોદ્દેદારો અને અમદાવાદ ડિવિઝન અધિકારીઓ વચ્ચે ઓપન હાઉસ સત્ર યોજાયું હતું. આ સત્રમાં ઉદ્યોગ, વેપાર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રના અગ્રણીઓ તથા હિતધારકોએ માલ પરિવહન, પોર્ટ કનેક્ટિવિટી, પેસેન્જર સેવાઓ અને લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા જેવા મુદ્દા પર ચર્ચા કરી હતી. અમદાવાદ-ભુજ નમો ભારત ટ્રેનનો સમય બદલવા, ઓખા વંદેભારત એક્સપ્રેસને સાણંદના બદલે છારોડી સ્ટોપેજ આપવા, ટ્રાવેલ એજન્ટો માટે તત્કાલ બુકિંગ સમયમાં ફેરફાર કરવા સહિત અન્ય મુદ્દા પર ચેમ્બરના હોદ્દેદારોએ રજૂઆત કરી હતી. અમદાવાદના ડીઆરએમ વેદ પ્રકાશે રેલવેની નીતિઓ, માલ પરિવહન યોજનાઓ તથા હાલ ચાલી રહેલાં વિકાસકામો અંગેની માહિતી રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારતીય રેલવેને વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે વિકસાવાઈ છે. વંદે ભારત એક્સપ્રેસ અને મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જેવી યોજનાઓ રાજ્યના વિકાસને નવી ગતિ આપશે. ચેમ્બરના પ્રમુખ સંદીપ એન્જિનિયરે ઔદ્યોગિક વિકાસ અને સ્પર્ધાત્મકતા વધારવા માટે લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા સુધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ચેમ્બરના હોદ્દેદારો સહિત સંસ્થાના પ્રતિનિધિઓએ વેગન ઉપલબ્ધતા અને ડિજિટલ ઈન્ટિગ્રેશન જેવા મુદ્દા પર ધ્યાન આપવા સૂચન કર્યું હતું. GCCIએ રેલવે સમક્ષ કરેલી મુખ્ય રજૂઆતો•અમદાવાદ–ભુજ નમો ભારત સવારે ભુજથી અને સાંજે અમદાવાદથી ચાલે છે; તેના બદલે સવારે અમદાવાદથી અને સાંજે ભુજથી ચલાવવાની માગ.• અમદાવાદ–ઓખા વંદે ભારત એક્સપ્રેસને સાણંદના બદલે છારોડી ખાતે સ્ટોપેજ આપવાની રજૂઆત, જેથી સાણંદ જીઆઈડીસી નજીક પડે.•તત્કાલ ટિકિટ બુકિંગ સમયે ટ્રાવેલ એજન્ટો માટે રાખવામાં આવેલા શરૂઆતના 30 મિનિટના બ્લોક સમયને ઘટાડવાની માંગ.•અમદાવાદથી મુંદ્રા પોર્ટ તરફ જતા કન્ટેનરોને પહોંચવામાં વધુ સમય લાગતો હોવા કારણે સમય ઘટાડવા તથા ભાડામાં સુધારો કરવાની રજૂઆત.•માલ પરિવહન માટે વધુ વેગન ઉપલબ્ધતા અને ઝડપી લોજિસ્ટિક્સ સુવિધા વધારવાની માંગ.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 5:08 am

ભાસ્કર એક્સક્લુસિવ:GCE એક્ટમાં રજિસ્ટ્રેશન ફરજિયાત પણ મિક્સોપેથી પ્રેક્ટિશનર માટે વિકલ્પ જ નથી

ગુજરાત સરકારે અમલી બનાવેલા ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ખર્ચાળ અને જટિલ હોવાથી આયુષ પ્રેક્ટિશનરોને મુશ્કેલી પડી રહી છે. નોંધણીની છેલ્લી તારીખ 30 એપ્રિલ નજીક આવી રહી છે ત્યારે રાજ્યના 27 હજાર જેટલા આયુષ તબીબોમાંથી 2 હજાર જેટલાએ જ નોંધણી કરાવી હોવાનું ઓલ ગુજરાત આયુર્વેદ ઍસોસિયેશનના પ્રમુખ ડૉ. હસમુખ સોનીએ કહ્યું હતું. આ અંગે ઍસોસિયેશને સરકારને રજૂઆત પણ કરી છે. દેશનાં માત્ર 11 રાજ્યમાં જ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અમલમાં છે, જેમાંથી ઘણાં રાજ્યોમાં તેનો વ્યાપ મર્યાદિત રખાયો છે. કેટલાંક રાજ્યોમાં આ કાયદો માત્ર 50 બેડથી વધુ ક્ષમતા ધરાવતી હૉસ્પિટલો સુધી જ લાગુ કરાયો છે જ્યારે બાકીનાં રાજ્યોમાં અમલ હજુ થયો નથી. આવા સંજોગોમાં ગુજરાતમાં નાના ક્લિનિક સુધી કડક અમલ કરવાના નિર્ણયને કારણે પ્રેક્ટિશનરોમાં ગૂંચવણ અને અસંતોષ વધી રહ્યો છે. ડૉ. હસમુખ સોનીએ કહ્યું હતું કે બિહાર જેવાં રાજ્યોએ નાના ક્લિનિકોને મુક્તિ આપી છે જ્યારે ગુજરાતમાં એક રૂમના ક્લિનિક માટે પણ આકરા નિયમો લાગુ કરાયા છે. રજિસ્ટ્રેશન પોર્ટલ પર મિક્સોપેથી એટલે કે આયુર્વેદ સાથે મોડર્ન મેડિસિનની પ્રેક્ટિસ કરતા ડૉક્ટરો માટે કોઈ સ્પષ્ટ વિકલ્પ અપાયો ન હોવાથી રજિસ્ટ્રેશન કરાવી શકાતું નથી. આ અંગે અમે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે, જે અત્યારે પડતર છે. સરકાર એ સમજવામાં નિષ્ફળ રહી છે કે એક રૂમમાં પ્રેક્ટિસ કરતા ક્લિનિક અને મોટી હૉસ્પિટલના માપદંડો એકસમાન ન હોઈ શકે. આયુષ તબીબોને રજિસ્ટ્રેશન માટેના મુખ્ય પડકાર•આ એક્ટના નિયમો મુજબ નાનામાં નાના એક રૂમના ક્લિનિક માટે પણ કમ્પ્યુટર સિસ્ટમ, ડેટા ઓપરેટર અને ક્વોલિફાઇડ નર્સિંગ સ્ટાફ રાખવો અનિવાર્ય બને છે. આ સુવિધાઓ ઊભી કરવાથી અને સ્ટાફના પગારને કારણે નાના ક્લિનિકના માલિક પર દર મહિને આશરે ₹25,000થી ₹40,000 સુધીનો વધારાનો મેન્ટેનન્સ ખર્ચ આવી શકે છે. ઓછી આવક ધરાવતા નાના ક્લિનિકો માટે આટલો મોટો ખર્ચ ઉઠાવવો વ્યવહારુ રીતે મુશ્કેલ છે. •આયુષ ડૉક્ટરો પહેલેથી કાઉન્સિલમાં નોંધાયેલા હોવા છતાં ક્લિનિક માટે અલગથી રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. •એક જ ક્લિનિકમાં એલોપેથી, આયુર્વેદ, હોમિયોપેથી ડોક્ટરો પ્રેક્ટિસ કરતા હોય તો દરેકનું અલગ રજિસ્ટ્રેશન કરાવવાની જોગવાઈથી વહીવટી અને આર્થિક ભારણ વધે છે. •કાયદાના જટિલ નિયમો અને પૂરતી જાણકારીના અભાવે આરટીઆઈ એક્ટિવિસ્ટો નાના ડૉક્ટરોને હેરાન કરતા હોવાની ફરિયાદો પણ ઍસોસિયેશનને મળી રહી છે.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 5:03 am

ભાસ્કર એક્સક્લુસિવ:રોજગારીનો 'સેતુ' સંધાયો

વડોદરા-આણંદ જિલ્લાને જોડતા ગંભીરા બ્રિજ પરનો લિંક સ્પાન ગર્ડર ચૈત્રી નવરાત્રીના બીજા દિવસે શુક્રવારે ફીટ કરાયો હતો. 47 મીટર લાંબો અને 100 ટનનો ગર્ડર 150 ટન વજન સહન કરી શકે છે. આ બ્રિજ ટુ વ્હીલર્સ ચાલક અને પગપાળા જતા લોકો માટે 8થી 10 દિવસમાં ધમધમતો કરવાનું આયોજન છે. ગત વર્ષે 12 જૂને ગંભીરા બ્રિજની કરુણાંતિકા બાદ તૂટી પડેલા ગર્ડરની જગ્યાએ નવો ગર્ડર નાખવાનો હતો. જેનું કામ 1 જાન્યુઆરીએ શરૂ થયું હતું. 20 મેએ ગર્ડર ગોઠવાતા 89 દિવસમાં કામ પૂર્ણ થયું હતું. આ વિશે મર્કના પ્રોજેક્ટ ઇન્ચાર્જ પરાગભાઇએ જણાવ્યું કે, પુલના એક છેડેથી 150 ટનનો ગર્ડર ખેંચવામાં 72 કલાક થયાં. દર 3 મિનિટે 250 મીમી ખેંચાતો હતો. બોરસદ-આંકલાવનો ટ્રાફિક શરૂ થશે. વડોદરા-આણંદના 30થી વધુ કંપનીના 3 હજાર કર્મી અને 700થી વધુ વિદ્યાર્થીઓના સમય-નાણાંની બચત થશે, એક સાથે 50 ટુ-વ્હીલર પસાર થશે. ગર્ડર ફિટ કરવા માટે કંપનીએ એક પણ રૂપિયો ન લીધોપોરબંદરની મર્ક કંપનીએ આ ગર્ડર ફિટિંગ નિઃશુલ્ક કરી આપ્યું છે. આ વિશે આરએન્ડબીના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, આ દુર્ઘટનામાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો હતો. સદભાવનામાં કંપનીએ આ કામ ફ્રી ઓફ કોસ્ટ કર્યું છે. આ કામનો ખર્ચ રૂ. 4.5 કરોડ રૂપિયા જેટલો થાત. 150 ટનની થેલીઓ મૂકી બ્રિજની વજન ક્ષમતા માપી આ કામમાં ગર્ડર પ્લેટનું અને હાલના બ્રિજ બંનેની મજબૂતીનું મલ્ટીપલ લેયર વાઇઝ ટેસ્ટિંગ કરાયું છે. ગર્ડર પ્લેટ પર 1 ટનની 150 થેલીઓ મૂકવામાં આવી હતી. પછી ટેસ્ટિંગ થયું હતું. જ્યારે બ્રિજની મજબૂતી માટે તેના ગર્ડર સહિતના લેયરનું ટેસ્ટિંગ કરાયું હતું. આ ટેસ્ટિંગના રિપોર્ટ્સ આવ્યા બાદ 18 માર્ચથી બ્રિજ પરથી પ્લેટ-ગર્ડર લાવવાની કામગીરી શરૂ કરાઇ હતી.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 5:01 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:પ્રિમીયમ પેટ્રોલના ભાવમાં લીટરે ₹2.35નો વધારો; રૂપિયો ઓલટાઈમ લો, ધુરંધર-2ની એક જ દિવસમાં 100 કરોડની કમાણી

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ભારતમાં મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવની અસરના રહ્યા. દેશમાં પ્રીમિયમ પેટ્રોલ ₹2.35 પ્રતિ લિટર સુધી મોંઘું થઈ ગયું. બીજા મોટા સમાચાર ધુરંધર-2એ રેકોર્ડ તોડ્યો એ વિશે રહ્યા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ઉત્તરાખંડમાં ધામી સરકારના 4 વર્ષ પૂર્ણ થવા પર રક્ષામંત્રી રાજનાથ સિંહ જનસભા કરશે. કાલના મોટા સમાચારો 1. ભારતમાં પ્રીમિયમ પેટ્રોલ મોંઘું થયું:એક લીટરે ₹2.35નો વધારો, ઈન્ડસ્ટ્રીયલ ડીઝલમાં પણ લીટરે 22 રૂપિયા વધ્યા; સામાન્ય પેટ્રોલ-ડીઝલમાં હાલ પૂરતો વધારો નહીં તેલ કંપનીઓએ સ્પીડ અને પાવર જેવા પ્રીમિયમ પેટ્રોલની કિંમતો શુક્રવારે ₹2.09-₹2.35 પ્રતિ લિટર સુધી વધારી દીધી છે. આ વધારો અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલની કિંમતો વધવાને લીધે કરવામાં આવ્યો છે. બીજી તરફ ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાતા ઈન્ડસ્ટ્રીયલ ડિઝલમાં પણ ધરખમ ભાવ વધારો થયો છે. તેમાં પણ એક લીટરે 22 રૂપિયા વધી ગયા છે. પ્રીમિયમ પેટ્રોલ BPCLનું સ્પીડ, HPCLનું પાવર અને IOCLનું XP95ના નામથી વેચાય છે. જ્યારે સામાન્ય પેટ્રોલ જૂના ભાવે જ મળતું રહેશે. હાલમાં તેમના ભાવોમાં કોઈ ફેરફાર થયો નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ઓનલાઇન ફૂડ મોંઘું થયું!:ઝોમેટોએ પ્લેટફોર્મ ફી વધારી સ્વિગી જેટલી કરી; ક્રૂડ ઓઇલની વધતી કિંમતો અને નફો વધારવા ગ્રાહકો પર બોજ નાખ્યો ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો પરથી ખાવાનું ઓર્ડર કરવું હવે મોંઘું થઈ ગયું છે. કંપનીએ શુક્રવારથી ઓર્ડર પર પ્લેટફોર્મ ફીમાં 19%નો વધારો કર્યો છે. યુઝર્સને દરેક ઓર્ડર પર ₹12.50ને બદલે હવે ₹14.90 એટલે કે ₹2.40 વધુ પ્લેટફોર્મ ફી ચૂકવવી પડશે. GST ઉમેર્યા પછી આ રકમ વધુ વધશે. પ્લેટફોર્મ ફી એ દરેક ફૂડ ઓર્ડર પર લાગુ પડતો વધારાનો ચાર્જ છે. આ GST, રેસ્ટોરન્ટ ચાર્જ અને ડિલિવરી ફીથી અલગ છે. નોંધનીય છે કે ઝોમેટો પ્લેટફોર્મ દરરોજ 20થી 25 લાખ ઓર્ડર ડિલિવર કરે છે. રૂપિયો 93.24 રેકોર્ડ તળીયે પહોંચ્યો:ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળાની અસર ભારતીય રૂપિયો આજે એટલે કે 20 માર્ચના રોજ અમેરિકન ડોલર સામે ઇતિહાસના સૌથી નીચલા સ્તર 93.24 પર પહોંચી ગયો. તેલના વધતા ઈમ્પોર્ટ બિલ અને વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય બજારમાંથી સતત રૂપિયા ઉપાડવાને કારણે રૂપિયામાં આ ઘટાડો આવ્યો છે. તેનું સૌથી મોટું કારણ ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલો ઉછાળો છે. ખાડી દેશોના ઊર્જા સ્થળો અને કતારના LNG પ્લાન્ટ પર ઈરાનના હુમલાઓ પછી બ્રેન્ટ ક્રૂડના ભાવ 110 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 3. મિડલ ઇસ્ટ તરફ આગળ વધી રહ્યા છે 3 અમેરિકી વૉરશિપ:આના પર 2200 સૈનિકો હાજર, દાવો- ખાર્ગ આઇલેન્ડ પર કબજો કરવાનો પ્લાન મિડલ ઇસ્ટમાં અમેરિકા પોતાની સૈન્ય હાજરી ઝડપથી વધારી રહ્યું છે. CNN અનુસાર, સેટેલાઇટ ઇમેજ પરથી જાણવા મળ્યું છે કે 3 અમેરિકી યુદ્ધ જહાજો સાથે મરીન સૈનિકોને મિડલ ઇસ્ટ મોકલવામાં આવી રહ્યા છે. આમાં USS ત્રિપોલી, USS સેન ડિએગો, USS ન્યૂ ઓર્લિયન્સનો સમાવેશ થાય છે. તેના પર લગભગ 2200 સૈનિકો તહેનાત છે. આ તમામ સૈનિકો 31મી મરીન એક્સપેડિશનરી યુનિટ (MEU)નો ભાગ છે, જેને તાત્કાલિક કાર્યવાહી માટે તૈયાર રાખવામાં આવે છે. ઇઝરાયલને ધમકી આપ્યા બાદ ઈરાની અધિકારીનું મોત ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના પ્રવક્તા જનરલ અલી મોહમ્મદ નૈનીનું શુક્રવારે હવાઈ હુમલામાં મોત થયું છે. IRGCએ એક નિવેદન જાહેર કરીને તેમના મોતના સમાચારની પુષ્ટિ કરી છે. અહેવાલો મુજબ, તાજેતરના હુમલામાં નૈનીને નિશાન બનાવ્યા હતા. નૈનીએ પોતાના છેલ્લા નિવેદનમાં કહ્યું હતું કે ઇઝરાયલ અને વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ માટે ‘સરપ્રાઈઝ’ તૈયાર છે. તેમણે દાવો કર્યો હતો કે ઈરાનની મિસાઈલ ક્ષમતા તેની ચરમસીમા પર છે અને દુશ્મનને જલ્દી જ તેની અસર જોવા મળશે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. 'ધુરંધર 2'ની પહેલા જ દિવસે ₹102 કરોડની કમાણી:હિન્દી ફિલ્મ જગતની પહેલી મૂવી બની; શાહરુખની 'જવાન'નો રેકોર્ડ તોડ્યો; પેડ પ્રીવ્યૂ સહિત કુલ ₹144 કરોડ કમાયા રણવીર સિંહ સ્ટારર ફિલ્મ 'ધુરંધર: ધ રિવેન્જ' એટલે કે 'ધુરંધર 2' એ રિલીઝ થતાં જ પહેલા દિવસે શાહરુખ ખાનની 'જવાન'નો રેકોર્ડ તોડી નાખ્યો છે. ફિલ્મ પહેલા દિવસે જ સૌથી ₹100 કરોડ ક્લબમાં સામેલ થનારી પહેલી ફિલ્મ બની ગઈ છે. ટ્રેડ એનાલિસ્ટ્સ અનુસાર, ફિલ્મે પહેલા દિવસે ₹102.55 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ પહેલા 2023માં આવેલી 'જવાન' એ પહેલા દિવસે 75 કરોડ રૂપિયા કમાયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 5. એર ઇન્ડિયાનું બ્લન્ડર, દિલ્હીથી કેનેડા ખોટું વિમાન મોકલ્યું:7 કલાકે ચીન પહોંચ્યા પછી ખબર પડી ને લેવો પડ્યો યુ-ટર્ન; ₹60 લાખના ઇંધણનો ધુમાડો, 300 લોકો હેરાન થયા ભારતીય એરલાઇન્સ કંપની એર ઇન્ડિયાની ફરી એકવાર મોટી ભૂલ સામે આવી છે, જેના કારણે દિલ્હીથી કેનેડાના વાનકુવર જઈ રહેલી ફ્લાઇટ AI-185ને ઉડાન ભર્યાના લગભગ 7 કલાક પછી પાછા દિલ્હી પરત ફરવું પડ્યું. હકીકતમાં, એર ઇન્ડિયાએ ગુરુવારે મુસાફરોને ભૂલથી બોઇંગ 777-300 ERને બદલે બોઇંગ 777-200 LR ફ્લાઇટમાં મોકલી દીધા હતા. એવિએશન નિયમો હેઠળ અલગ-અલગ દેશોમાં અલગ-અલગ વિમાન મોડેલ માટે પરવાનગી હોય છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. 'શહેર ભાજપ પ્રમુખે 40 લાખના 1.50 કરોડ પડાવ્યા,કરોડોની જમીન પચાવી':જૂનાગઢમાં 3 બાઈક શોરૂમના માલિક રસ્તા પર આવ્યા, પિતા રડી પડ્યા, રૂપારેલિયાએ કહ્યું-આરોપ સાબિત કરે જૂનાગઢમાં વ્યાજખોરીના રાક્ષસે વધુ એક હસતા-રમતા પરિવારને પાયમાલ કરી દીધો હોવાનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક સમયે ત્રણથી ચાર બાઈક શોરૂમના માલિક એવા ભાવિન ઉર્ફે રાજુભાઈ કુંભાણી આજે એક નોકરી માટે ફાફા મારી રહ્યા છે. રાજુભાઈએ જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા પર ગંભીર આક્ષેપો કર્યા છે કે વ્યાજના ચક્રમાં તેમણે પોતાનું સર્વસ્વ ગુમાવ્યું છે અને જૂનાગઢ છોડવાની ફરજ પડી છે. આ મામલે રાજુભાઈના પિતાએ પણ રડતી આંખે ન્યાયની માંગ કરી છે. જોકે ગૌરવ રૂપારેલિયાએ આ આક્ષેપને પાયાવિહોણા ગણાવી કહ્યું છે કે સાબિત કરો. વાંચો સંપૂર્ણ સમાચાર 7. માવઠાએ આજે ગીરનો વારો લીધો, કેસર કેરી પર મોટો ખતરો:ઉના-ગીર ગઢડા સહિતમાં વીજળીના કડાકા સાથે વરસાદ; રોડ પર નદીની જેમ પાણી વહેતા થયા રાજ્યના હવામાન વિભાગ દ્વારા છેલ્લા બે દિવસમાં કમોસમી વરસાદ અને ભારે પવનની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે ગતરોજ (19 માર્ચ) રાત્રે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 72 તાલુકામાં 1 મિમીથી લઈને 41 મિમી સુધી વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના બગસરામાં દોઢ ઈંચથી વધુ નોંધાયો છે, જ્યારે અન્ય વિસ્તારોમાં પણ ઝરમરથી લઈને મધ્યમ વરસાદ જોવા મળ્યો છે. સાથે જ વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘણી જગ્યાએ ઝાડ પડી ગયા હતા તો ક્યાંક હોડિંગ પણ પડી ગયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : મમતાની જાહેરાત: SC-ST મહિલાઓને દર મહિને ₹1700 આપશે:બાકીનાને ₹1500 મળશે; TMC મેનિફેસ્ટોમાં પાકાં ઘર, બેરોજગારોને વાર્ષિક ₹18 હજારનું વચન વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : બીમારીનું કહી લેડી ડોક્ટરોને પ્રાઇવેટ પાર્ટ બતાવતો, અડવાનું કહેતો:કોઈ બીમારી ન હોવાનું જણાતા ત્યાંથી ભાગી જતો, કેનેડામાં નકલી પંજાબી યુવકની ધરપકડ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : 'યુદ્ધ જો કોઈ રોકાવી શકે તો તે ભારત છે':નાગપુરમાં સંઘ વડા ભાગવતે કહ્યું- ભારત પાસે બંધુભાવ અને માનવતા છે, આ વાત દુનિયા જાણે છે એટલે ભારત પાસે આશા રાખે છે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : રિપોર્ટિંગ કરતા પત્રકાર પર મિસાઈલ હુમલો, LIVE VIDEO:લેબનોનમાં RTના પત્રકાર પર ઇઝરાયલનો મિસાઈલ હુમલો; પત્રકારે કહ્યું- ‘આ હુમલો ઈરાદાપૂર્વક કરવામાં આવ્યો હતો’ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : સોનું ₹549 સસ્તું, ₹1.47 લાખ પર આવ્યું:ચાંદી ₹3,727 વધીને ₹2.34 લાખ પર પહોંચી, ઈરાન યુદ્ધની અસર વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : IPLમાં જે સારું રમશે તેને BCCI વર્લ્ડ કપમાં સિલેક્ટ કરશે:2027ના ODI ટુર્નામેન્ટ માટે 20 ભારતીય ખેલાડીઓ શોર્ટલિસ્ટ વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : આજે ગણગૌર ત્રીજ:મનગમતો વર અને અખંડ સૌભાગ્યની કામનાનો પર્વ; જાણો શિવ-પાર્વતીની પૂજા કરવાની વિધિ વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : જજ સામે નકલી વકીલ દલીલ કરે એવી સ્થિતિ:રાજસ્થાન, હિમાચલ, સિક્કિમની યુનિ.ની અસલી ડિગ્રીનો ગુજરાતમાં વેપાર; 2.80 લાખમાં LLBની માર્કશીટ વેચતા એજન્ટ કેમેરામાં કેદ 2. ભાસ્કર સિરીઝ : સાબરમતી નદીમાંથી આશ્રમનાં બે બાળકોની કોહવાયેલી લાશ મળી: અંગો ગાયબ અને આખા શરીરે ખદબદતા કીડા; જુઓ ‘આસારામ’ સિરીઝનો નવો શૉકિંગ એપિસોડ 3. પારકી પંચાત : ખેડાવાલાએ CMને વખાણ્યા, કોંગ્રેસવાળા ઊંચા-નીચા થયા:સાંભળો, લોકસભામાં અમરેલીના સાંસદનું કડકડાટ હિન્દી; જયંતિ રવિ અધિકારીઓનાં ફેવરિટ બની ગયાં! 4. ફિલ્મી ફેમિલી : લાદેન આ ગુજરાતી સિંગરનો હતો 'જબરા ફૅન':અલકા યાજ્ઞિકના પતિનો દારૂનો બિઝનેસ, અનુરાધા પૌડવાલ સાથેની દુશ્મનીને કારણે ગુલશન કુમારની હત્યા થઈ! 5. માતાજીની ભક્તિમાં ભેળવો સ્વાદનો રસ!:ઉપવાસમાં એકનો એક ફરાળ કરવાની જરૂર નથી, ઘરે જ બનાવો 12 ખાસ વાનગી; શરીરની તાકાત સાથે સ્વાસ્થની સુંગધ મેળવો 6. બોલિવૂડ ક્રાઇમ ફાઇલ્સ : બોયફ્રેન્ડે જિયા ખાનને પ્રેગ્નન્ટ કરી!:ઈમેજ સાચવા અબોર્શન કરાવ્યું, ગર્ભને બાથરૂમમાં જ વહાવ્યાનો આરોપ; સુસાઇડ નોટના લખાણ પર પ્રશ્નાર્થ કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ રાશિફળ શનિવારનું રાશિફળ:મિથુન અને ધન રાશિને કરિયરમાં મળશે નવી ઊંચાઈ, સિંહ-તુલા રાશિના જાતકો માટે અણધાર્યા ધન લાભનો યોગ વાંચો સંપૂર્ણ સમાચાર…

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 5:00 am

હેરિટેજ સિટીનો રિવ્યુ કરાયો:યુનેસ્કોને 2035 સુધીનો રોડમેપ બતાવાયો

યુનેસ્કોના સભ્યોની ટીમે અમદાવાદના વિવિધ હેરિટેજ જગ્યાઓની મુલાકાત લીધી હતી. અમદાવાદના હેરિટેજ વારસામાં સમાવેશ થતા સ્થાપત્યોની જાળવણી અને તે જગ્યાઓના વિકાસ વિશે કોર્પોરેશન દ્વારા યુનેસ્કોની ટીમ સમક્ષ 2035 સુધીનો રોડ મેપ જણાવ્યો હતો. શહેરની હેરિટેજ સાઇટોના રક્ષણ અને વિકાસ માટે શું પગલાં લેવાઈ રહ્યાં છે, સાથે જ ભવિષ્યમાં આ જગ્યાઓને કેવી રીતે ડેવલપ કરાશે તેનો પણ પ્લાન રજૂ કરાયો હતો. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, યુનેસ્કોની ટીમને વિવિધ હેરિટેજ સાઇટ અને ત્યાં વસતા લોકો અંગેની પણ માહિતી આપવામાં આવી છે. વિવિધ પોળમાં ચાલતા રોજગારો, લોકોની રહેવાની વ્યવસ્થા, ત્યાંની ખાસિયતો અને પરંપરાઓ વિશેની પણ માહિતી અપાઇ હતી. ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયાથી પણ નિરીક્ષકો આવ્યાહેરિટેજનું નિરીક્ષણ કરવા આવેલી યુનેસ્કોની ટીમમાં મૂળ ચીનના અને હાલમાં ફ્રાન્સના યુનેસ્કો હેરિટેજ સેન્ટરમાં પ્રોજેક્ટ ઓફિસર રોલેન્ડ લીન ચિહ-હુન્ગ હતા. તેઓ નેપાળ, ભૂતાન અને માલદીવ્સમાં પણ હેરિટેજ મુદ્દે તપાસ કરી ચૂક્યા છે. જ્યારે તેમાં એક મહિલા નિરીક્ષક એલિઝાબેથ વાઇન્સ છે, જે ઓસ્ટ્રેલિયામાં હેરિટેજ આર્કિટેક્ચર તરીકે કામ કરે છે. પ્રવાસી માટે ટૂરિઝમ સેલ તૈયાર કરવાનો ખાસ ઉલ્લેખસ્થાપત્યો માટે લોકો વધુ સંખ્યામાં અમદાવાદની મુલાકાત લે તે માટે ખાસ ટૂરિઝમ સેલ તૈયાર કરાયો છે. કોર્પોરેશન દ્વારા આ સેલનો આવતા વર્ષોનો પ્લાન પણ રજૂ કરાયો હતો. આ સાથે જ હેરિટેજ જાળવણી માટે તૈયાર કરવામાં આવેલા ટ્રસ્ટની માહિતી સાથે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા કામોની માહિતી પણ યુનેસ્કોની ટીમને આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 4:55 am

વેધર રિપોર્ટ:વરસાદ બાદ એક જ દિવસમાં ગરમીનો પારો 4 ડિગ્રી ગગડ્યો

શહેરમાં ગુરુવારે વરસાદ બાદ શુક્રવારે એક જ દિવસમાં મહત્તમ તાપમાનમાં 3.8 ડિગ્રીનો અને લઘુતમ તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો થયો હતો. શુક્રવારે દિવસ દરમિયાન ઠંડા પવન અને વાદળિયા વાતાવરણ વચ્ચે ગરમીથી રાહત મળી હતી. આગામી બે દિવસમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થ‌તાં ફરીથી વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે. હવામાન વિભાગના આંકડા મુજબ, ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 35.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 22.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે શુક્રવારે શહેરનું મહત્તમ તાપમાન 35.2 ડિગ્રીથી ગગડીને 31.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 18.5 ડિગ્રી નોંધાયું હતું. રવિવારે વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે18 માર્ચે સક્રિય થયેલાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રેક પંજાબના મધ્ય વિસ્તારમાંથી પસાર થતાં ગુરુવારે અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદ પડ્યો છે, પરંતુ 22મીએ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેનો ટ્રેક પંજાબ અને રાજસ્થાનમાંથી પસાર થવાની શક્યતા છે. આથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ગુરુવાર કરતાં વરસાદનું જોર વધુ રહી શકે છે. > એ.ટી. દેસાઈ, હવામાન વિશેષજ્ઞ

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 4:54 am

BRTS બસ શેલ્ટરની સફાઈનો ખર્ચ 10 ગણો થયો:BRTS સ્ટેન્ડની સફાઈનો માસિક ખર્ચ 15 વર્ષમાં રૂ. 3 લાખથી વધી 35 લાખ

મ્યુનિ. માટે એએમટીએસની જેમ બીઆરટીએસ પણ ધોળા હાથી સમાન સાબિત થઈ છે. વર્ષ 2011-12માં જ્યાં બીઆરટીએસના બસ શેલ્ટરની સફાઈ માટે રૂ. 3.29 લાખ માસિક ખર્ચ થતો હતો ત્યાં 2024-25માં આ ખર્ચ વધી રૂ. 35.6 લાખે પહોંચ્યો છે. એટલે કે 10 ગણો વધારો થયો છે. મ્યુનિ. સંચાલિત બીઆરટીએસ બસ સ્ટેન્ડની સફાઈનો ખર્ચ હવે લાખોમાં થઈ રહ્યો છે. બીઆરટીએસના 141 કરતાં વધારે બસ સ્ટેન્ડ ઉપલબ્ધ છે ત્યારે આ બસ સ્ટેન્ડની સફાઈનો ખર્ચમાં સતત વધારો થયો છે. વર્ષ 2011-12માં આ બસ શેલ્ટરની સફાઈ પાછળ વર્ષે 39.55 લાખ ખર્ચ થયો હતો ત્યાં 2024-25માં 2.74 કરોડનો ખર્ચ થયો છે. જ્યારે 2025-26ના ડિસેમ્બર સુધીમાં રૂ. 2.83 કરોડ ખર્ચાઈ ચૂક્યા છે. મહિને 5 કરોડથી વધુનું નુકસાનબીઆરટીએસને પ્રતિ વર્ષ મ્યુનિ. દ્વારા 40 કરોડથી વધુની રકમ ફાળવવામાં આવે છે. જ્યારે મહિને 5 કરોડથી વધુનું નુકસાન પણ બીઆરટીએસના સંચાલનમાં થયું છે. જ્યારે બસ સ્ટેન્ડની સફાઈ માટે આટલી મોટી રકમ ખર્ચવા છતાં બીઆરટીએસ શેલ્ટરની યોગ્ય સફાઈ થતી નથી. છેલ્લાં 15 વર્ષમાં એવરેજ પ્રતિ માસ આટલો ખર્ચ

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 4:53 am

હજાર પરિવાર જર્જરિત મકાનમાં રહેવા મજબૂર:સોલા, વાડજ, શાસ્ત્રીનગરમાં 7 સોસાયટીનું રિડેવલપમેન્ટ અટક્યું: બિલ્ડરે નિયત ભાડું ન આપતાં, નવા ઘરમાં જગ્યા ઘટાડી દેતાં વિવાદ

સોલા, વાડજ, શાસ્ત્રીનગર સહિતના વિસ્તારની સાત સોસાયટીના રિડેવલપમેન્ટ માટે ટેન્ડર ભરાયાં બાદ પણ કામગીરી અટકી પડી છે, જેથી એક હજારથી વધુ પરિવારો જૂનાં અને જર્જરિત મકાનોનાં રહેવા મજબૂર છે. રિડેવલપમેન્ટના ટેન્ડર થયા તે પહેલાં એપાર્ટમેન્ટ અને હાઉસિંગ બોર્ડની મધ્યસ્થતામાં તમામ સભ્યો સંમત થઈને જોડાયા હતા. ત્યાર બાદ બિલ્ડર અને મકાનમાલિકો વચ્ચે ભાડું, જગ્યા ફાળવણીના થયેલા વિવાદ બાદ રિડેવલપમેન્ટની કામગીરી અટકી પડી હતી. હાલમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં હજુ સુધી અંદાજિત 14 રિડેવલપમેન્ટ માટે અરજી થઈ છે, પણ તેની કામગીરી પણ પેન્ડિંગ છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ વહીવટી અને ટેક્નિકલ મુદ્દાને કારણે પેન્ડિંગ પ્રોજેક્ટ આગળ વધી શકતા નથી. રહીશોને સમજાવી કામ આગળ વધારીશું: હાઉસિંગ બોર્ડના ચીફ એન્જિનિયર એચ.વી. ઝડફિયાએ જણાવ્યું કે કેટલીક સોસાયટીઓના કેસ ચાલી રહ્યા છે, તો કેટલીક સોસાયટીમાં અંદરોઅંદર વિવાદ હોવાને કારણે કામ આગળ વધતું નથી. જોકે હાઉસિંગ બોર્ડ દ્વારા ઝડપથી લોકોને સમજાવી કામગીરી શરૂ થાય તેવા પ્રયાસો કરાશે. કામ અટકી પડતાં રહીશોને જોખમ અને નુકસાન રિડેવલપમેન્ટ કેમ અટકી પડ્યું? સોલાની 4, વાડજની 2 સોસાયટી ભાસ્કર નોલેજ - અમદાવાદમાં હાલ કુલ 42 પ્રોજેક્ટ ચાલી રહ્યા છે

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 4:49 am

સિટી એન્કર:દક્ષિણ એશિયાનાં ટોચનાં 10 એરપોર્ટમાં દેશનાં 9, અમદાવાદ 9મા ક્રમે, આધુનિકીકરણ, નવી ટેક્નોલોજીના ઉપયોગ પર ભાર મુકાયો

અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (એસવીપીઆઈ) દક્ષિણ એશિયાના પ્રતિષ્ઠિત એરપોર્ટ્સની યાદીમાં સામેલ થઈ ગયું છે. ‘સ્કાયટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સ 2026’માં અમદાવાદ એરપોર્ટને ભારત અને દક્ષિણ એશિયાના ‘ટોપ-10 બેસ્ટ એરપોર્ટ’માં 9મા સ્થાન મેળવ્યું છે. એરપોર્ટ પર કેટલાક સમયથી થઈ રહેલા આધુનિકીકરણ અને નવીન ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની સાથે ઝડપી અને સરળ સંચાલન પર ભાર મુકાયો છે. છેલ્લા 6 મહિનામાં થયેલા ફેરફારો દક્ષિણ એશિયાનાં ટોપ 10 એરપોર્ટ 1. દિલ્હી2. બેંગલુરુ3. હૈદરાબાદ4. ગોવા5. મુંબઈ6. ચેન્નઈ7. કોલંબો8. કોચી9. અમદાવાદ10. કોલકાતા આ માપદંડોના આધારે રેન્કિંગ આપવામાં આવ્યું

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 4:41 am

યુદ્ધની ઉદ્યોગને અસર:LPGની અછતથી કંડલામાં IFGLનો પ્લાન્ટ હાલ બંધ કરાયો

પશ્ચિમ એશિયામાં ભડકેલા યુદ્ધની અસર હવે કચ્છના ઉદ્યોગોમાં સ્પષ્ટ જોવા મળી રહી છે. ગલ્ફમાંથી આવતા લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG)ના સપ્લાયમાં વિક્ષેપ સર્જાતા કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (KASEZ)માં આવેલી IFGL રિફ્રેક્ટરીઝનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યો છે. શેરબજાર (BSE/NSE) ને આપેલી સત્તાવાર માહિતી મુજબ, IFGL રિફ્રેક્ટરીઝ લિમિટેડે શુક્રવારે જાહેરાત કરી છે કે ગલ્ફ સંકટને કારણે LPG નો સપ્લાય ખોરવાયો છે. બીજી તરફ, ભારત સરકારે દેશમાં ગેસની અછત ન સર્જાય તે માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને તમામ ઉપલબ્ધ LPG માત્ર ‘ઘરેલુ ગ્રાહકો’ ને જ ફાળવવાનો આદેશ આપ્યો છે. આ સ્થિતિમાં કમર્શિયલ ગેસ ન મળવાથી કંપનીએ ગાંધીધામના કંડલા સેઝ (KASEZ) માં પ્લોટ નં. 638-644 પર આવેલો પોતાનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અચોક્કસ મુદત માટે બંધ કરી દીધો છે. મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર આ સ્થિતિ તેમના નિયંત્રણ બહાર છે અને સમગ્ર રિફ્રેક્ટરી ઇન્ડસ્ટ્રી માટે આ એક મોટો ફટકો છે.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 4:36 am

ભાસ્કર ખાસ:પ્રી-મોન્સૂન પેટર્ન બદલાઈ, ઉનાળામાં વરસાદની સંભાવના 60 વધી

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 127 તાલુકામાં વરસાદ નોંધાયો છે. માત્ર એક જ દિવસમાં રાજ્યમાં સરેરાશ 3.9 મીમી વરસાદ પડ્યો છે. આ સાથે વર્ષ 2026 માર્ચ મહિનાના છેલ્લા 125 વર્ષના સૌથી વધુ વરસાદ ધરાવતા ટોપ 10 વર્ષોમાં સામેલ થયું છે. ગુજરાતનો 125 વર્ષનો ડેટા સાબિત કરે છે કે રાજ્ય હવે ફરીથી એવા ચક્રમાં પ્રવેશ્યું છે જ્યાં ઉનાળામાં વરસાદ પડવાની શક્યતા 60% થી વધુ છે. સામાન્ય રીતે માર્ચના પહેલા 20 દિવસમાં રાજ્યમાં માત્ર 0.2 મીમી જેટલો વરસાદ થાય છે. પરંતુ આ વર્ષે એક જ દિવસે 3.9 મીમી વરસાદ નોંધાતા, સામાન્ય કરતા અંદાજે 19 ગણો વધુ વરસાદ પડ્યો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઉનાળાની શરૂઆતમાં જ પડતા વરસાદે ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે. શું આ માત્ર કુદરતી ફેરફાર છે કે પછી હવામાનમાં કોઈ મોટો બદલાવ આવી રહ્યો છે? દિવ્ય ભાસ્કરએ 1901 થી 2025 સુધીના છેલ્લા 125 વર્ષના વરસાદના ડેટાનું ઊંડું એનાલિસિસ કર્યું છે. આ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ગુજરાતમાં પ્રિ-મોનસૂન વરસાદની પેટર્ન આખી બદલાઈ ગઈ છે. 1901 થી 1925 ના ગાળામાં ઉનાળુ વરસાદ ખૂબ જ સામાન્ય હતો અને 25 માંથી 22 વર્ષ મે મહિનામાં વરસાદ પડતો હતો. ત્યારબાદ 1951 થી 1975 ના ગાળામાં વરસાદની સરેરાશમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને આ ગાળો સૌથી સૂકો રહ્યો હતો. જોકે, છેલ્લા 25 વર્ષમાં ફરી એકવાર વરસાદની તીવ્રતા અને આવૃત્તિ બંનેમાં વધારો થયો છે, જે ખેતી માટે ખતરાની ઘંટડી સમાન છે. 125 વર્ષમાં વરસાદની પેટર્નમાં આવેલા મોટા ફેરફારો 1. માર્ચ મહિનાનું કમબેક :1976 થી 2000ના ગાળામાં માર્ચ મહિનો લગભગ કોરો રહેતો હતો. આ ગાળામાં માત્ર 9 વર્ષ વરસાદ રહ્યો હતો. પરંતુ છેલ્લા 25 વર્ષમાં માર્ચ મહિનામાં વરસાદ પડવાની ઘટનાઓ વધીને 13 વર્ષ પર પહોંચી છે. વરસાદે રવિ પાકને મોટું નુકસાન કર્યું હતું. 2. એપ્રિલ હજુ પણ શાંત :એપ્રિલ મહિનો ઐતિહાસિક રીતે સૌથી કોરો રહ્યો છે. 1951-1975 ના ગાળામાં સરેરાશ માત્ર 0.36 મીમી વરસાદ હતો. જોકે, બદલાતી પેટર્નમાં હવે એપ્રિલમાં પણ હળવો વરસાદ વધ્યો છે, 2023 માં 6.4 મીમી અને 2024 માં 2.8 મીમી વરસાદ નોંધાયો. 3. મે માં વરસાદની વધતી તીવ્રતા :મે મહિનો હંમેશા ઉનાળામાં સૌથી વધુ વરસાદ ધરાવતો રહ્યો છે, પરંતુ હવે તેમાં તીવ્રતા વધી છે. 1933 માં 79.4 મીમી નો ઓલ-ટાઇમ રેકોર્ડ હજુ અકબંધ છે, 2025 માં 49.8 મીમી વરસાદ સંકેત આપે છે કે મે મહિનામાં હવે ઝાપટાં નહીં ભારે વરસાદ પડશે. માર્ચમાં વરસાદના રેકોર્ડ

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 4:31 am

ભાસ્કર એક્સક્લુસિવ:રાજ્યભરમાં બાલવાટિકાના 3 લાખ બાળકોના ધો.1માં પ્રવેશ અટવાયા

નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ થયા પછી રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થામાં ગૂંચવણ ઊભી થઈ છે. સ્વનિર્ભર પ્રિ-પ્રાયમરીમાં બાલવાટિકામાં અભ્યાસ કરતા અંદાજે 3 લાખ વિદ્યાર્થીઓના ધોરણ-1માં પ્રવેશ પર સીધી અસર પડી છે. કારણ કે પ્રિ-પ્રાયમરી શાળાઓને યુડાઇસ કોડ અને વિદ્યાર્થીઓને યુનિક આઈડી નંબર હજુ સુધી ફાળવવામાં આવ્યા નથી. શિક્ષણ વિભાગે શૈક્ષણિક વર્ષ 2025-26થી દરેક સેલ્ફ ફાઈનાન્સ પ્રિ-પ્રાયમરી શાળાને યુડાઇસ કોડ અને દરેક વિદ્યાર્થીને યુનિક આઈડી ફરજિયાત આપવાનો નિર્ણય કર્યો હતો. આ સિસ્ટમનો હેતુ વિદ્યાર્થીઓનો સમગ્ર શૈક્ષણિક રેકોર્ડ એક જ પ્લેટફોર્મ પર રાખવાનો છે. પરંતુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થવા આવ્યું હોવા છતાં આ પ્રક્રિયા અમલમાં આવી નથી. નવી નીતિ મુજબ હવે બાલવાટિકા પછી સીધો ધોરણ-1માં પ્રવેશ અપાય છે. પરંતુ યુનિક આઈડી વિના વિદ્યાર્થીઓને લિવિંગ સર્ટિફિકેટ આપી શકાતું નથી. જેના કારણે પ્રવેશ પ્રક્રિયા અટવાઈ ગઈ છે અને વાલીઓમાં ગૂંચવણ ફેલાઈ છે. સાથે જ, રાજ્યભરમાં લિવિંગ સર્ટિફિકેટની પ્રક્રિયા અધૂરી રહેતા અંદાજે 3 લાખ વિદ્યાર્થીઓ પર વ્યાપક અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. યુડાઇસ અને યુનિક આઈડી શું છે?યુડાઇસ કોડ શાળાનો 11 આંકડાનો ઓળખ નંબર છે, યુનિક આઈડી વિદ્યાર્થીની શૈક્ષણિક ઓળખ છે. શું છે સમસ્યાનો મૂળ મુદ્દો? યુડાઇસ કોડ-યુનિક આઈડી ન મળતા લીવિંગ સર્ટિ. મળતું નથીઆઈડી વિના વિદ્યાર્થીઓને લિવિંગ સર્ટિફિકેટ આપી શકાતું નથી. જેના કારણે પ્રવેશ પ્રક્રિયા અટવાઈ ગઈ છે અને વાલીઓમાં ગૂંચવણ ફેલાઈ છે. સાથે જ, રાજ્યભરમાં લિવિંગ સર્ટિફિકેટની પ્રક્રિયા અધૂરી રહેતા અંદાજે 3 લાખ વિદ્યાર્થીઓ પર વ્યાપક અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તાત્કાલિક ઉકેલ લાવીશું યુડાઇસ અને યુનિક આઇડીની પ્રક્રિયા શાળાઓ દ્વારા પુરી થઇ ગઇ હશે તો અમે તેને તાત્કાલિક ફાળવી દઇશું. કોઇ વિદ્યાર્થી કે વાલીને ધો. 1માં પ્રવેશ મેળવવામાં અડચણ પડે નહીં તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 4:27 am

સિટી એન્કર:મુંબઈ-પુણે એક્સપ્રેસ વેની મિસિંગ લિન્ક 1 મેથી શરૂ

બહુપ્રતિક્ષિત મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પરના મિસિંગ લિન્ક પ્રકલ્પનું કામ આખરે હવે અંતિમ તબક્કામાં છે. આ પ્રકલ્પનું 99 ટકા કામ પૂરું થયું છે. અત્યારે રંગરોગાન સહિત આંતરિક કામની શરૂઆત મહારાષ્ટ્ર રાજ્ય રસ્તા વિકાસ મહામંડળ તરફથી કરવામાં આવી છે. બાકીના કામ પૂરા કરીને મિસિંગ લિન્ક શરૂ કરવા જરૂરી પરવાનગીઓ લઈને 1 મેથી આ રોડ વાહનવ્યવહાર માટે શરૂ કરવાનું નિયોજન એમએસઆરડીસીનું છે. તેથી 1 મેથી મુંબઈથી પુણેનો પ્રવાસ ઝડપી થશે અને પ્રવાસીઓના 30 મિનિટના સમયની બચત થશે. મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર વાહનોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. ભવિષ્યમાં એમાં હજી વધારો થશે. વધતી વાહનસંખ્યાના કારણે એક્સપ્રેસ વે પર ટ્રાફિકજામની સમસ્યા ઊભી થઈ છે અને અકસ્માતનું જોખમ પણ વધ્યું છે. તેથી આ એક્સપ્રેસ વેની ક્ષમતા વધારવા એમએસઆરડીસીએ મિસિંગ લિન્ક પ્રકલ્પ હાથમાં લીધો. એ અનુસાર મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ખપોલીથી કુસગાવ 19.80 કિલોમીટરનો નવો રોડ અર્થાત મિસિંગ લિન્ક બાંધવાના કામની શરૂઆત 2019માં કરી હતી. કરાર અનુસાર આ પ્રકલ્પ 2022માં પૂરો થઈને આ રોડ વાહનવ્યવહાર માટે શરૂ થવો અપેક્ષિત હતો. જો કે કામની ઝડપ અને ટેકનિકલ અડચણના લીધે કામમાં વિલંબ થતા આ પ્રકલ્પ પૂરો થવા 2026 સુધી રાહ જોવી પડી. હવે આ પ્રકલ્પનું કામ અંતિમ તબક્કામાં છે. પ્રકલ્પનું 99 ટકા બાંધકામ પૂરું થયું છે અને રંગ લગાડવાના કામની શરૂઆત કરવામાં આવી છે. ખીણમાંથી જતા આ રોડના થાંભલાઓને, કેબલસ્ટેડ પુલના થાંભલાઓને બ્લૂ રંગ લગાડવામાં આવી રહ્યો છે એવી માહિતી એમએસઆરડીસીના અધિકારીએ આપી હતી. પુલ સહિત બોગદાના આંતરિક કામની પણ શરૂઆત કરવામાં આવી છે. આ કામ એપ્રિલના અંતમાં પૂરું કરવાનું સુરક્ષા તપાસ શરૂ થશેમિસિંગ લિન્ક શરૂ કરવા પહેલાં જરૂરી સુરક્ષા તપાસ કરવી ફરજિયાત છે. એમાં પુલ કેટલો ભાર ઝીલી શકે છે એની અને અન્ય તપાસનો સમાવેશ છે. આ તપાસકામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે અને તપાસ માટે જરૂરી પરવાનગીઓ લેવામાં આવશે. એ પછી 1 મેના આ રોડ વાહનવ્યવહાર માટે શરૂ કરવામાં આવશે એમ અધિકારીએ જણાવ્યું હતું. મિસિંગ લિન્ક શરૂ થતા ઘાટનો પ્રવાસ ટળશે અને પ્રવાસમાં 30 મિનિટની બચત થશે.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 4:06 am

પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકની ખાતરી:વૈશ્વિક તણાવથી ST સેવામાં અવરોધ પેદા નહીં થાય

મહારાષ્ટ્ર સરકાર પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવની અસરને ધ્યાનમાં રાખીને રાજ્યની આવશ્યક સેવાઓ અને ઊર્જા પુરવઠા અંગે સતર્ક બની છે. રાજ્યના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે શુક્રવારે જણાવ્યું હતું કે વૈશ્વિક અસ્થિરતા છતાં મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એમએસઆરટીસી) પર હાલ સુધી કોઈ સીધો નાણાકીય પ્રભાવ પડ્યો નથી. તેમણે જણાવ્યું કે, રાજ્યની જાહેર પરિવહન વ્યવસ્થા, ખાસ કરીને લાલ પરી તરીકે ઓળખાતી બસ સેવા, હાલ સ્થિર રીતે કાર્યરત છે. રાજ્ય વહીવટી તંત્ર કેન્દ્રીય એજન્સીઓ સાથે સતત સંપર્કમાં રહીને સેવા ખલેલ ન પડે તે માટે પગલાં લઈ રહ્યું છે. આ સાથે, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લીમીટેડ (આઈઓસીએલ) દ્વારા બળતણ વિતરણમાં વ્યૂહાત્મક પ્રાથમિકતા અમલમાં મુકાઈ છે. કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ સૌપ્રથમ સંરક્ષણ વિભાગને ડીઝલ અને તેલ આપવામાં આવી રહ્યું છે, ત્યાર બાદ રેલવે વિભાગને પ્રાથમિકતા અપાઈ રહી છે. રાજ્ય પરિવહન નિગમો અને અન્ય જાહેર સેવાઓને ત્રીજા ક્રમે સ્થાન આપવામાં આવ્યું છે. તે છતાં, મંત્રીએ ખાતરી આપી કે આઈઓસીએલ દ્વારા ઓછામાં ઓછા બે મહિના માટે પૂરતો ડીઝલ જથ્થો ઉપલબ્ધ છે, જેથી તાત્કાલિક કોઈ ગંભીર સંકટ ઊભું થવાની શક્યતા નથી. પરંતુ, ઊર્જા તંગીનો સૌથી વધુ પ્રભાવ રાજ્યના આતિથ્ય ઉદ્યોગ પર જોવા મળી રહ્યો છે. સરનાઈકે જણાવ્યું કે ગેસની અછતને કારણે મહારાષ્ટ્રમાં અનેક રેસ્ટોરન્ટ્સ બંધ થવાની કગાર પર છે, જ્યારે કેટલીક પહેલેથી જ બંધ થઈ ગઈ છે. નાના અને મધ્યમ ઉદ્યોગકારો માટે આ પરિસ્થિતિ ગંભીર ચિંતાનો વિષય બની છે, કારણ કે તેઓ વ્યાવસાયિક ગેસ સપ્લાય પર આધારિત છે. રાજ્ય સરકાર હાલ ઇંધણ વિતરણ અને વ્યાપારી હિતો વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કરી રહી છે. પશ્ચિમ એશિયાના સંઘર્ષોની લહેરિયાત અસર મહારાષ્ટ્રના સંસાધન વ્યવસ્થાપન માટે એક મોટી કસોટી સાબિત થઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 4:05 am

દેવેન્દ્ર ફડણવીસને તપાસ માટે પત્ર:અજિત પવાર વિમાન દુર્ઘટના સાથે બાબાનું કનેકશન

સેલિબ્રિટીઓ અને રાજકીય નેતાઓના વિશ્વાસુ બની બેઠેલા અને મહિલાઓ સાથે જાતીય અત્યાચારના કેસમાં સપડાયેલા અશોક ખરાત ઉર્ફે ઠગબાબાનું કનેકશન હવે અજિત પવાર વિમાન દુર્ઘટના સાથે જોડવામાં આવી રહ્યું છે. શરદ પવાર જૂથના વિધાનસભ્ય અમોલ મિટકરીએ આ અંગે મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસને તપાસ માટે પત્ર લખ્યો છે. મિટકરીએ અનુસાર ૧૮/૧૯/૨૦ નવેમ્બર, ૨૦૨૫! આ દિવસો અનુક્રમે શિવરાત્રિ અને અમાવસ્યા હતી. આ સમયગાળા દરમિયાન, અજિતદાદાના નિવાસસ્થાન સહયોગ સોસાયટી વિસ્તારમાં ભીગવાન રોડ પર અઘોરી પૂજા કરવામાં આવી હતી. શિવલિકા આશ્રમ ભગવાન શિવની પૂજા માટે છે, પરંતુ આ આશ્રમમાં ખાત અઘોરી પૂજા કરતો હતો. આટલા વર્ષો સુધી અજિત દાદા સાથેના મારા સંબંધમાં મેં એક વાતનો અનુભવ કર્યો હતો, દાદા ધાર્મિક વિધિઓમાં બિલકુલ માનતા નહોતા. તેઓ આવી બકવાસ સહન કરતા નહોતા. જોકે, આ કિસ્સામાં, અશોક ખરાતનું VSR (દુર્ઘટનાગ્રસ્ત વિમાનની કંપની) કનેક્શન બહાર આવ્યું છે. હવે પ્રશ્ન એ છે કે, ૨૭ જાન્યુઆરીએ કાર દ્વારા પુણે જઈ રહેલા દાદા ૨૮મી તારીખે સવારે VSR ગયા હતા, તે કોની સલાહ પર હતું? આ ઢોંગી બાબાના ભક્ત કોણ હતા? જો ૧૬ નવેમ્બરથી ૩૧ જાન્યુઆરી વચ્ચે આ બાબા અને આશ્રમના પૂજારીઓનો સીડીઆર કાઢવામાં આવે તો દાદાનું મૃત્યુ કેવી રીતે થયું તે આખી વાત સાફ થઈ જશે. તેમણે મુખ્ય મંત્રીને પણ પત્ર લખીને આ અંગે ઊંડાણથી તપાસ કરવા માગણી કરી છે.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 4:04 am

બાબા અશોક ખરાત કેસ:અશોક ખરાત સાથે સંબંધ બાદ વિવાદ ઉગ્ર બનતાં ચાકણકરને હટાવી દેવાયાં

નાશિકના અત્યાચારી બાબા અશોક ખરાત કેસમાં હવે એક મોટી માહિતી સામે આવી છે. વિવાદ વકરતાં રાજ્ય મહિલા પંચનાં અધ્યક્ષા રૂપાલી ચાકણકર મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસને તેમના વર્ષા નિવાસસ્થાને મળ્યાં હતાં. આ બેઠક દરમિયાન વિગતવાર ચર્ચા કર્યા પછી, એવું કહેવામાં આવી રહ્યું છે કે મુખ્ય મંત્રીએ ચાકણકરને તાત્કાલિક તેમના પદ પરથી રાજીનામું આપવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ ચાકણકરે શુક્રવારે મોડી સાંજે ઉપ મુખ્ય મંત્રી સુનેત્રા પવારને મળીને રાજીનામું સુપરત કર્યું. તેમણે કહ્યું કે તેઓ વ્યક્તિગત કારણોસર રાજીનામું આપી રહ્યાં છે. સેંકડો મહિલાઓના જાતીય શોષણના આરોપી અશોક ખરાત સાથે રૂપાલી ચાકણકરના કેટલાક ફોટો અને વિડિયો સોશિયલ મિડિયા પર વાઈરલ થયા હતા. ખાસ કરીને ચાકણકર અત્યંત મહત્ત્વપૂર્ણ હોદ્દા પર હોવાથી ખરાતના ગંભીર પ્રકરણને લઈ રાજ્યભરમાં તેમની ટીકા થઈ રહી હતી અને વિવિધ રાજકીય સ્તરોમાંથી તેમના રાજીનામાની જોરદાર માગણીઓ થઈ રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલાઓના અધિકારોનું રક્ષણ કરતા પંચનાં અધ્યકક્ષા હોવા છતાં આવી વિવાદાસ્પદ વ્યક્તિ સાથેના તેમના સંબંધોને કારણે સર્જાયેલા વિવાદને કારણે સરકારે આખરે આ કડક નિર્ણય લીધો. રોહિત પવારે ટ્વીટ કર્યું કે મુખ્ય મંત્રીએ મહિલા પંચનાં અધ્યક્ષાને રાજીનામું આપવાનો આદેશ આપ્યો છે તે સમજી શકાય છે. આ માટે મુખ્ય મંત્રીનો આભાર, પરંતુ ફક્ત રાજીનામું આપવાનું પૂરતું નથી, પરંતુ આ મામલાના તળિયે જવા માટે પારદર્શક તપાસ થવી જોઈએ અને જેમ અમોલ મિટકરી કહી રહ્યા છે, શું આ ઢોંગી બાબા અને અજિત પવારના વિમાન દુર્ઘટના વચ્ચે કોઈ સંબંધ છે કે કેમ તેની ઊંડાણથી તપાસ થવી જોઈએ. શિવસેના ઠાકરે જૂથના નેતા સુષ્મા અંધારેએ કહ્યું કે, જો ગૃહમંત્રીએ રાજીનામું આપવાનો આદેશ આપ્યો હોય તો તે આવકાર્ય છે. પરંતુ દુઃખની વાત છે કે રાજ્યના વાસ્તવિક નેતૃત્વ તરીકે રાજ્યના પ્રથમ મહિલા ઉપ મુખ્ય મંત્રી અને આ રાષ્ટ્રવાદી કોંગ્રેસનાં પ્રમુખ સુનેત્રા પાસેથી આ ભૂમિકા વધુ અપેક્ષા રાખવામાં આવતી હતી. દુર્ભાગ્યવશ, તેમણે આ તક ગુમાવી દીધી. ગમે તે હોય, અમારી લડાઈ ચાલુ રહેશે. ચાકણરને સહ-આરોપી તરીકે ધરપકડ કરો એવી અમારી માગણી છે. દરમિયાન, રૂપાલી ચાકણકરે એક ટ્વીટમાં માહિતી આપી છે કે તેઓ આજે મુંબઈમાં પોલીસ મહાનિર્દેશક સદાનંદ દાતેને મળ્યાં હતાં અને રાજ્ય મહિલા પંચ વતી તેમને એક પત્ર સોંપ્યો હતો. આ પત્રમાં, એવી માહિતી આપવામાં આવી છે કે અશોક ખરાત મહિલા અત્યાચાર કેસમાં ઊંડાણથી તપાસ થવી જોઈએ અને ઉચ્ચ સ્તરીય તપાસ દ્વારા આ મામલાનું સત્ય બહાર આવે અને આરોપીઓ સામે કાર્યવાહી કરવા માટે તેમના સ્તરેથી સૂચનાઓ આપવામાં આવે.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 4:03 am

કામગીરી:રણમાં વાવાઝોડાથી થયેલા નુકસાનીનો આજથી સર્વે : પ્રથમવાર અગરીયાઓના હાલચાલ પૂછાશે

19મી માર્ચે કચ્છના નાના રણમાં આવેલા વિનાશક વાવાઝોડામાં મીઠું પકવતા અગરીયા સમુદાયની સોલાર પેનલો ફંગોળાવવાની સાથે મીઠા ઉધોગને મોટું નુકશાન સર્જાયું હતું. જે બાદ મીઠું પકવતા અગરિયા સમુદાયને નુકશાનીનો પ્રથમ વખત સર્વે થશે. આવતી કાલથી જિલ્લા ઉધોગ કેન્દ્ર કચેરીનો સ્ટાફ રણમાં ઝુપડે ઝુપડે જઈ મીઠું પકવતા અગરિયાઓને થયેલા નુકશાનનો સર્વે કરી રિપોર્ટ તૈયાર કરી સરકારને મોકલાવશે. 19મી માર્ચે વહેલી સવાર છેવાડાના માનવી તરીકે ઓળખાતા ગરીબ અને પછાત અગરીયા સમુદાય માટે એક કાળ બનીને આવી હતી. જેમાં કચ્છના નાના રણ વિસ્તારમાં આવેલા ભીષણ વાવાઝોડાએ રણવિસ્તારમાં રહેતા અગરિયા સમુદાયને મુશ્કેલીમાં મૂકી મોંમાં આવેલો કોળિયો ઝૂંટવી લીધો છે. વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે આશરે 15થી 20 કરોડ રૂપિયાનું નુકસાન થયાના પ્રાથમિક અહેવાલ સામે આવ્યો હતો. આ વિનાશક વાવાઝોડાના કારણે મીઠાના ઉત્પાદન માટે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી સોલર વોટર-પમ્પિંગ સિસ્ટમો સ્ટેન્ડ સાથે ઉખડી ગઈ અને ભુક્કો થઈ ગઈ. આ સાથે જ ક્રિસ્ટલાઇઝરમાં પાકેલાં મીઠા પર ધૂળ અને રણની માટીનો થર જમા થતાં હજારો ટન મીઠું ખરાબ થઈ ગયું છે. કચ્છના નાના રણના ખારાઘોડા, ઝીંઝુવાડા, મીઠાગોઢા, નાગબાઈ, ધાંગધ્રા, હળવદ, મોરબી, આડેસર, સાંતલપુર સહિતના વિસ્તારોમાં આપત્તિજનક સ્થિતિ સર્જાઈ છે. અગરીયા સમુદાયની મુખ્ય માંગણીઓતાત્કાલિક સરકારી સર્વે કરી નુકસાનીનો વાસ્તવિક ખ્યાલ મેળવવો., અસરગ્રસ્ત અગરિયા પરિવારોને તાત્કાલિક રાહત અને કેશ-ડોલ ચૂકવવા., સોલર પેનલો અને મીઠા ઉત્પાદનના સાધનોના પુન:સ્થાપન માટે તાત્કાલિક સહાય પૂરી પાડવી., નર્મદાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો. આજથી જ રણમાં સર્વે કરવામાં આવશે ખારાઘોડા ગ્રામ પંચાયત અને અગરીયા મહાસંઘના પ્રમુખ બચુભાઈ દેગામા અને પ્રહલાદભાઈ સહિતના આગેવાનોની રજૂઆત બાદ મે જાતે સરકારમાં વાત કરી છે. એ પ્રમાણે આવતી કાલથી જિલ્લા ઉધોગ કેન્દ્ર કચેરીનો સ્ટાફ રણમાં ઝુપડે ઝુપડે જઈ મીઠું પકવતા અગરિયાઓને થયેલા નુકશાનનો સર્વે કરી રિપોર્ટ તૈયાર કરી સરકારને મોકલાવશે. અને મીઠુ પકવતા અગરિયાઓને સોલાર પેનલમાં જે નુકશાન થયું છે, એ માટે સરકાર દ્વારા ફરી અગરિયાઓને સોલાર પેનલ મળે એની પણ રજૂઆત કરવામાં આવી છે. > પી. કે. પરમાર (ધારાસભ્ય-દસાડા-લખતર )

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 4:00 am

વેધર રિપોર્ટ:પોરબંદર જિલ્લામાં લઘુતમ તાપમાન 3.9 ડિગ્રી ગગડ્યું

ઉનાળા દરમ્યાન કમોસમી વરસાદને પગલે પોરબંદરમાં મહતમ તાપમાન 31.9 ડિગ્રી અને લઘુતમ તાપમાન 3.9 ડિગ્રી ઘટીને 18.6 ડિગ્રી નોંધાયું છે જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 83 ટકાએ પહોંચ્યું છે જેથી રાત્રે ઠંડક પ્રસરી છે અને ઠંડો પવન ફૂંકાયો હતો. ઉનાળાની શરૂઆત માં જ કમોસમી વરસાદની આગાહીને પગલે પોરબંદરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બીજા દિવસે શુક્રવારે સાંજે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પોરબંદરમાં ગઈકાલે ગુરુવારે મહતમ તાપમાન 31.3 ડિગ્રી નોંધાયું હતું અને લઘુતમ તાપમાન 22.5 ડિગ્રી નોંધાયું હતું જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 76 ટકા પહોંચ્યું હતું. રાત્રીના સમયે ઝાંકળ સાથે ઠંડો પવન ફૂંકાયો હતો, જેની સામે શુક્રવારે મહતમ તાપમાન 31.9 ડિગ્રી નોંધાયું છે અને લઘુતમ તાપમાન 3.9 ડિગ્રી ઘટીને 18.6 ડિગ્રી નોંધાયું છે જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 7 ટકા વધીને 83 ટકા નોંધાયું છે જેથી ભેજનું પ્રમાણ અને લઘુતમ તાપમાન ઘટી જતા મોડી રાત્રે ભેજ સાથે ઠંડક પ્રસરી છે. સિઝનનું સૌથી વધુ ભેજનું તાપમાન 83 ટકા નોંધાયું પોરબંદરમાં ગત માસે અને ચાલુ માસ દરમ્યાન અલગ અલગ દિવસે ભેજનું પ્રમાણ 17 ટકાથી લઈને 66 ટકા સુધી રહ્યું હતું. જ્યારે ગત તા.16 માર્ચના ભેજનું પ્રમાણ 70 ટકા સુધી પહોંચ્યું હતું અને બાદ ગઈકાલે તા.19ના રોજ ભેજનું પ્રમાણ 76 ટકા પહોંચ્યું હતું અને તા.20ના રોજ ભેજનું પ્રમાણ 83 ટકા પહોંચ્યું છે, જે આ સિઝનનું સૌથી વધુ ભેજનું પ્રમાણ નોંધાયું છે.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 4:00 am

માર્કેટયાર્ડમાં વિવિધ રવિપાકની આવક થઈ:યાર્ડમાં ધાણા, જીરુ,મગફળી, ઘઉં અને ચણાની આવક ઘટી

પોરબંદરના માર્કેટયાર્ડ હાલ રવીપાકની આવક જોવા મળી રહી છે, ત્યારે જીલ્લામાં કમોસમી વરસાદને લઈને યાર્ડમાં ધાણા, જીરું,મગફળી, ઘઉં અને ચણાની આવકમાં ઘટાડો થયો છે યાર્ડમાં સૌથી વધુ ધાણાની 14,500 કિલો આવક થઈ,પ્રતિમણે રૂ.350 થી 527 ભાવ ખેડૂતોને મળ્યા હતા. પોરબંદર જિલ્લામાં વાવેતર થયેલ રવીપાક તૈયાર થઈ જતા માર્કેટયાર્ડ હાલ વિવિધ પાકની જણસીની આવકમાં વધારો નોંધાયો છે. યાર્ડમાં આવેલ તેલીબિયાં વિભાગ,શાકભાજી વિભાગ,ફ્રૂટ વિભાગ સહિતના વિભાગ આવેલ છે ત્યારે પોરબંદરના યાર્ડમાં તેલીબિયાં વિભાગમાં આવતી જણસીની આવકમાં મોટો વધારો નોંધાયો છે. યાર્ડમાં શુકવારે મગફળીની 1000 કિલો,સુવાદાણા 500 કિલો,ચણાની 5500 કિલો અને જીરુની 2400 કિલો,ઘાણાની 12,800 કિલો,ઘઉંની 14,500 કિલો,જુવારની 100 કિલો તેમજ મેથીની 400 કિલો આવક જોવા મળી રહી છે.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 4:00 am

ઓપરેશન મ્યુલ હન્ટ:સાયબર ફ્રોડના આરોપીની પોલીસે અટકાયત કરી

પોરબંદર જિલ્લા ખાતે મ્યુલ એકાઉન્ટસનો ડેટા મળેલ, જે મ્યુલ એકાઉન્ટસના ડેટાની તપાસ હાથ ધરી કાયદેસર કાર્યવાહી કરવા માટે ગુજરાત સરકાર તરફથી ઓપરેશન મ્યુલ હન્ટ હાથ ધરવામાં આવેલ, જેમાં પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજા તથા ડીવાયએસપી ઋતુ રાબાની સુચના મુજબ મ્યુલ એકાઉન્ટસની તપાસ કરતાં SBI બેંક એકાઉન્ટ નં. 41482274761 વિરૂધ્ધમાં અલગ-અલગ રાજય માંથી કૂલ 6 કંપ્લેઇન દાખલ થયેલ હોય, અને રૂા.7,50,000 જેટલી રકમ બેંક એકાઉન્ટમાં આવેલ અને તે જ દિવસે ચેક સહિતના માધ્યમથી KYC ધારક અને સહઆરોપીઓ દ્વારા રકમ ઉપાડી લીધેલ. જેથી તા.14/12ના પોરબંદર સાયબર ક્રાઈમ પોલીસ મથકે સાયબર ફ્રોડનો ગુન્હો દાખલ થયો હતો. બેંક એકાઉન્ટ ધારક તથા સહઆરોપીઓ વિરૂધ્ધ પોલીસે જાતેથી ફરીયાદી બની ગુન્હો દાખલ કર્યો હતો અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.આર. ચૌધરી દ્વારા આ ગુન્હાની તપાસ હાથ ધરી હતી. આ ગુન્હામાં ફરાર મૂળ જૂનાગઢના ભેસાણ ગામનો અને હાલ સુરત રહેતો આરોપી ઉત્સવ ચંદુભાઈ ભેસાણીયાને ઝડપી લઇ અટક કરી છે. અને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા આ આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 4:00 am

કીર્તિ મંદિર સંચાલન સમિતિની બેઠક યોજાઈ‎:લાઈટ એન્ડ સાઉન્ડ શો, નવું વાયરીંગ કરવા, નવા સીસીટીવી અને મહેકમ અપગ્રેડેશન કરવા ચર્ચા કરાઈ

પોરબંદરના કલેકટર કચેરી ખાતે પ્રભારીમંત્રી અને કેબિનેટમંત્રીની ઉપસ્થિતિમાં કીર્તિ મંદિર સંચાલન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં કીર્તિમંદિર ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો, નવું વાયરીંગ કરવા, સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા, નવા સીસીટીવી અને મહેકમ અપગ્રેડેશન કરવા ચર્ચા કરાઈ હતી. પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અધ્યક્ષ સ્થાને અને વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની વિશેષ ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી પોરબંદર ખાતે કીર્તિ મંદિર સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ગાંધી જન્મભૂમિ કીર્તિ મંદિર ખાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે સુચારૂ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાનો અને પ્રવાસન લક્ષી પ્રશ્નોનો ત્વરિત નિકાલ લાવવાનો હતો. આ બેઠક દરમ્યાન કીર્તિ મંદિર સંચાલન સમિતિના સભ્યો દ્વારા વિવિધ સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા જેની મંત્રી દ્વારા નોંધ લઈને ત્વરિત નિરાકરણ માટે હકારાત્મક અભિગમ દાખવ્યો હતો અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, મનપા કમિશનર હસમુખ પ્રજાપતિ, પ્રભારી મંત્રીના અંગત સચિવ જે.બી. વદર, નિવાસી અધિક કલેક્ટર રેખાબા સરવૈયા, કીર્તિમંદિર સંચાલન સમિતિના સભ્ય સચિવ સંદીપ જાદવ અને જિલ્લા આયોજન અધિકારી જે.સી. ઠાકોર સહિત અન્ય સંલગ્ન વિભાગના અધિકારીઓ અને કીર્તિ મંદિર સંચાલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને કીર્તિ મંદિરના વિકાસના વિવિધ પાસાઓ પર જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કઈ કઈ બાબતે ચર્ચા કરાઈબેઠક દરમિયાન ખાસ કરીને કીર્તિ મંદિર પરિસરમાં આધુનિક લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવા, નવું વાયરીંગ કરવા, સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા, નવા સીસીટીવી અને મહેકમ (સ્ટાફ) લાઈબ્રેરી અપગ્રેડેશન સંબંધી બાબતો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગત વર્ષના હિસાબોની બહાલી, સુધારા બજેટને બહાલી, ઓડિટ રિપોર્ટ, પરિસરમાં આવેલા ગાંધી હાટમાં નવી વસ્તુઓનો સમાવેશ કરી તેને વધુ આકર્ષક બનાવવા ચર્ચા કરાઇ હતી.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 4:00 am

કીર્તિમંદિરના મુલાકાતીઓને હાલાકી:કીર્તિમંદિરમાં શૌચાલયને તાળા, પ્રવાસીઓ વિઝીટ બુકમાં સમસ્યા લખી રોષ વ્યકત કર્યો

પોરબંદરના રાષ્ટ્રીય સ્મારક એવા કીર્તિમંદિર ખાતે સોચાલય બ્લોકનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે આ શૌચાલય તૈયાર થઈ ગયા બાદ તાળા લગાવી દેવામાં આવતા અહીં આવતા પ્રવાસીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. જેથી આ પ્રવાસીઓ પોતાનો રોષ વિઝીટ બુકમાં સમસ્યા લખી વ્યકત કરી રહ્યા છે પોરબંદર શહેરમાં અનેક પ્રવાસન સ્થળો આવેલ છે. આ પ્રવાસન સ્થળો પર દિવસ દરમ્યાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મ સ્થળ કીર્તિમંદિર આવેલ છે.રાષ્ટ્રીય સ્મારક એવા કીર્તિમંદિર ખાતે દિવસ દરમ્યાન દેશ વિદેશથી પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે આ રાષ્ટ્રીય સ્મારકના પટાંગણમાં રહેલ જર્જરીત શૌચાલય બ્લોક દૂર કરી નવું સોચાલય બ્લોક બનાવવામાં આવ્યા છે. આ આ શૌચાલય બ્લોક તૈયાર થઈ ગયા બાદ કોઈ કારણોસર સોચાલય બ્લોકને તાળા લગાવી દેવામાં આવતા અહીં આવતા પ્રવાસીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે જેથી પ્રવાસીઓ દ્વારા તેમની સમસ્યા રોષભેર વિઝીટ બુકમાં વ્યક્ત કરી રહ્યા છે.આ શૌચાલય બંધ હોવાથી દિવસ દરમ્યાન આવતા પ્રવાસીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. નામ બડે ઓર દર્શન છોટેઅમે લોકો અમદાવાદ થી ગાંધી જન્મ સ્થળ જોવા આવ્યા પણ વૉશરૂમની પણ સુવિધા ન હતી,બંધ હતું,અમારા ઘરના અને સાથે આવેલ બધા લોકો વૉશરૂમ માટે બોવ હેરાન થયા. > હિમાંશુ જોશી,પ્રવાસી

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 4:00 am

દરિયાકાંઠે કરાયું સઘન પેટ્રોલિંગ:ગોરસરથી માધવપુર દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું

સામાન્ય પરિસ્થિતિ દરમિયાન યોગ્ય તકેદારી રાખવામાં આવે તો આતંકવાદી જેવી કટોકટીપૂર્ણ પરિસ્થિતિથી બચી શકાય છે અને બાદમાં સર્જાતા તણાવપૂર્ણ માહોલમાંથી પણ પસાર થવું ન પડે તે હેતુસર પોરબંદર જિલ્લામાં દરિયાકાંઠે સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. એ.ટી.એસ અમદાવાદના અધિક પોલીસ મહાનિર્દેશક એ.કે. વિશ્વકર્મા, દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સ ગાંધીનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એમ. મુનીયા તથા હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ મરીન સેક્ટર કમાન્ડર કચેરી પોરબંદરના અધિકારી આર.એન. ઝાલા અને એ.એસ. વદરની આગેવાનીમાં મરીન કમાન્ડો તથા અસોલ્ટ ડોગ સાથે અલગ-અલગ હીટ ટીમો બનાવી ગોરસરથી માધવપુર ગામ તેમજ આસપાસના દરિયાકાંઠા વિસ્તારમાં સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. સમુદ્ર માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને સંભવિત ઘુસણખોરી પર નજર રાખવી, નિર્જન દરિયાકિનારાની ઝાડીઓમાં છુપાયેલી શંકાસ્પદ વસ્તુઓ અથવા વ્યક્તિઓની તપાસ કરવી તેમજ સ્થાનિક માછીમારો અને સાગરખેડુઓને દરિયાઈ સુરક્ષા અંગે જાગૃત કરવાના ઉદેશ્ય સાથે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દુરબીનથી દૂર દેખાતી શંકાસ્પદ બોટ અને હિલચાલ પર પણ નજર રાખવામાં આવી હતી. ઉપરાંત ગોરસરથી માધવપુર અને ગોસાબારા થી ટુકડા ગામ સુધીના દરિયાઈ વિસ્તારોમાં આવેલા અવાવરૂ સ્થળોની ઝીણવટપૂર્વક ચકાસણી હાથ ધરાઈ હતી. આ કામગીરીથી દરિયાકાંઠા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર સમયસર કાબૂ મેળવી શકાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 4:00 am

મામલતદાર દ્વારા હોટેલ સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી:શહેરના તુલસી પાર્સલ પોઇન્ટ અને નેશનલ રેસ્ટોરન્ટમાંથી ઘરેલુ સિલિન્ડર ઝડપાયા

પોરબંદર શહેરમાં હાલ ગેસના કોમર્શિયલ સિલિન્ડરની અછત છે ત્યારે અમુક રેસ્ટોરન્ટમાં તેમજ પાર્સલ પોઇન્ટમાં ઘરેલુ સિલિન્ડરનો ઉપયોગ થતો હોવાથી પોરબંદરના સીટી મામલતદાર દ્વારા શહેરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમ્યાન શહેરના તુલસી પાર્સલ પોઇન્ટ અને નેશનલ રેસ્ટોરન્ટમાંથી ઘરેલુ સિલિન્ડર ઝડપાતા મામલતદાર દ્વારા કાર્યવાહી કરી હતી. પોરબંદર શહેરમાં હાલ ઘરેલુ ગેસના સિલિન્ડરની અછત જોવા મળી રહી છે તો હાલ કોમર્શિયલ ગેસના સિલિન્ડરનું વિતરણ પણ બંધ છે ત્યારે હાલ કોમર્શિયલ ગેસના સિલિન્ડર વિતરણ બંધ હોવાથી અમુક ખાણીપીણીના વેપારીઓ દ્વારા ઘરેલુ સિલિન્ડરનો વપરાશ કરતા હોવાની ફરિયાદો ઉઠી હતી જેથી પોરબંદર સીટી મામલતદાર સહિતની ટીમ દ્વારા પોરબંદર શહેરમાં અલગ અલગ ખાણીપીણીના વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમ્યાન પોરબંદરના સુદામા ચોક નજીક આવેલ નેશનલ રેસ્ટોરન્ટ તેમજ રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ તુલસી પાર્સલ પોઇન્ટમાં ઘરેલુ ગેસના સિલિન્ડરનો ઉપયોગ કરતા હોવાથી આ ટીમ દ્વારા આ બંને ખાણીપીણીના વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 4:00 am

મનપા દ્વારા કાર્યવાહી કરાઈ:મનપા કચેરી પરિસરમાં પાન મસાલા થૂંકનાર વ્યક્તિ દંડાયો

પોરબંદર મનપા દ્વારા શહેરને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાના હેતુસર સ્વચ્છતા સંબંધિત નિયમોનો કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે. જાહેર સ્થળોએ ગંદકી કરવી, થૂંકવું કે અસ્વચ્છતા ફેલાવવી જેવી પ્રવૃત્તિઓ સામે મનપા દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. આ અંતર્ગત મહાનગરપાલિકાની કચેરી પરિસરમાં જ એક વ્યક્તિ દ્વારા પાન મસાલા થૂકી ગંદકી કરવામાં આવતા, સેનીટેશન વિભાગે તાત્કાલિક દંડનીય કાર્યવાહી કરી હતી. સેનીટેશન કર્મચારી અશ્વિનભાઈ વઢિયા અને તેમની ટીમે સંદીપભાઈ નામના વ્યક્તિને ગંદકી કરતા પકડી દંડ ફટકાર્યો હતો અને ભવિષ્યમાં આવી હરકતો ન કરવા ચેતવણી પણ આપી હતી. શહેરની સ્વચ્છતા જાળવવી દરેક નાગરિકની જવાબદારી છે. તેથી જાહેર સ્થળોએ ગંદકી ન કરવા અને સ્વચ્છતા અભિયાનમાં સહયોગ આપવા મનપા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. આવનારા દિવસોમાં પણ આવી ઝુંબેશ સતત ચાલુ રહેશે અને સીસીટીવી ફૂટેજ પણ ચેક કરી નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું મનપાએ જણાવ્યું છે. આ પ્રકારનો દંડ પ્રથમ વખત કરાયો મનપા કચેરીના પરિસરમાં જાહેરમાં પાન માવાની પિચકારી મારી ગંદકી કરનાર વ્યક્તિ ધ્યાને આવતા તાકીદે વ્યક્તિને પકડીને તેને દંડ કરવામાં આવ્યો હતો. મનપાએ આ પ્રકારની કાર્યવાહી પ્રથમ વખત કરી છે અને મનપા કચેરી પરિસરમાં જાહેરમાં ગંદકી કરનાર વ્યક્તિઓ સામે દંડ ફટકારી જાગૃતતા લાવવા કાર્યવાહી આગામી દિવસોમાં કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 4:00 am

રેલ્વે વિભાગને પાઠવ્યું‎ આવેદનપત્ર:GIDC રેલ્વે ફાટક બંધ થશે તો 50,000થી વધુ લોકોને મુશ્કેલી,ફાટક બંધ ન કરવા પુનર્વિચાર કરો

પોરબંદરના GIDC રેલ્વે ફાટક બંધ કરવાની હિલચાલ થઈ રહી છે ત્યારે આ ફાટક બંધ થશે તો તો 50,000થી વધુ લોકોને મુશ્કેલી થશે.જેથી ફાટક બંધ ન કરવા પુનર્વિચાર કરવા પોરબંદરના ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રેલ્વે વિભાગને આવેદનપત્ર પાઠવ્યું છે. પોરબંદરના ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે પોરબંદર ખાતે આવેલ GIDC રેલવે ફાટકને કાયમી રીતે બંધ કરવાની પ્રસ્તાવિત કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આ રેલવે ક્રોસિંગ શહેર અને GIDC ઔદ્યોગિક વિસ્તાર વચ્ચેનો સૌથી મહત્વપૂર્ણ પ્રવેશ માર્ગોમાંથી એક છે. અંદાજ મુજબ દરરોજ 50,000થી વધુ લોકો આ ક્રોસિંગનો ઉપયોગ કરે છે, જેમાં કામદારો, વિદ્યાર્થીઓ, રહેવાસીઓ અને મુલાકાતીઓનો સમાવેશ થાય છે. GIDC ઔદ્યોગિક વિસ્તારમાં આશરે 300 નાના અને મોટા ઉત્પાદન એકમો આવેલાં છે, જ્યાં હજારો કર્મચારીઓ રોજગાર માટે દરરોજ અવરજવર કરે છે. આ ક્રોસિંગ બંધ કરવામાં આવશે તો આ કામદારો માટે મુસાફરીનું અંતર અને સમય બંનેમાં નોંધપાત્ર વધારો થશે અને અનેક ઉદ્યોગોના કાર્ય પર પણ તેની અસર પડી શકે છે. આ વિસ્તારમાં બે શાળાઓ આવેલ છે, જ્યાં ઘણા વિદ્યાર્થીઓ દરરોજ શહેર તરફથી રિક્ષા, સાયકલ, બે-વ્હીલર અને ખાનગી વાહનો દ્વારા આવે છે. આ ક્રોસિંગ બંધ કરવામાં આવશે તો વિદ્યાર્થીઓને ગંભીર અસુવિધા ઊભી થશે તેમજ શાળા બાળકોની સુરક્ષા અંગે પણ પ્રશ્નો ઊભા થઈ શકે છે. વિવિધ સૂચનો પણ અપાયા‎(1)ક્રોસિંગને નિયંત્રિત સમય સાથે તથા યોગ્ય ગેટ વ્યવસ્થાપન દ્વારા ખુલ્લું રાખવામાં આવે. (2)ચેતવણી સંકેતો, ઓટોમેટિક ગેટ્સ અથવા રેલવે સ્ટાફની દેખરેખ જેવી વધારાની સુરક્ષા વ્યવસ્થા અમલમાં મૂકી શકાય.(3)સ્થાનિક રહેવાસીઓ માટે અલગ પદયાત્રીઓ અને બે-વ્હીલર માટે ક્રોસિંગની વ્યવસ્થા કરવામાં આવે. (4)અંતિમ નિર્ણય લેવા પહેલા વિગતવાર જાહેર પરામર્શ અથવા સ્થાનિક સર્વે કરો

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 4:00 am

પરિવહન સેવા:પોરબદરના ડેપોને 2 ગુર્જર નગરી એસ.ટી.બસ મળી : કેબિનેટમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું

તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા નવી ગુર્જરનગરી બસોને વિવિધ ડેપોમાં ફાળવવામાં આવી છે.ત્યારે પોરબંદર ડેપોને પણ 2 ગુર્જર નગરી બસો મળતા જ કેબિનેટમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 18 માર્ચના ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા કુલ 182 ગુર્જરનગરી બસો વિવિધ ડેપોને અર્પણ કરવામાં આવેલ હતી જે પૈકી પોરબંદરના એસ.ટી. વિભાગ ને પોરબંદર - ભાવનગર રૂટમાં 2 ગુર્જરનગરી બસો ફાળવવામાં આવેલ હતી. આ બસોનું શુકવારે પોરબંદર બસ સ્ટેશનથી કેબિનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ હતુ. આ તકે અર્જુનભાઇ મોઢવાડિયા એ જણાવ્યું હતુ કે આપણા પોરબંદર જીલ્લાની મુસાફર જનતાને લાંબા અંતરની બસ વધુ આરામ દાયક મળે તે હેતુસર પોરબંદર થી ભાવનગર ના રૂટ માં આ બસો ફાળવવામાં આવેલ છે. આ ગુર્જરનગરી બસમા બે સીટ વચ્ચે વધારે જગ્યા આપવામાં આવેલ છે જેથી લાંબા અંતરની મુસાફરી માટે કોઇ જાતનો થાક લાગતો નથી અને આરામ દાયક મુસાફરીનો અહેસાસ થાય તે મુજબ આ બસો નું નિર્માણ કરવાં આવેલ છે. આ બસ ક્યાં રૂટ પર ઉપલબ્ધ થશે પોરબંદર થી ભાવનગર જવા માટે આ બસ સવારે 07:45 કલાકે તેમજ બીજી બસ રાત્રે 20:00 કલાકે વાયા માંગરોળ, વેરાવળ, કોડીનાર, ઉના, રાજુલા, મહુવા, તળાજા થઇને ભાવનગર જશે. જ્યારે ભાવનગર થી પોરબંદર આવવા માટે આ બસો સવારે 07:45 વાગ્યે તેમજ સાંજે 19:00 કલાકે આ બસો મળશે.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 4:00 am

ભાસ્કર એનાલિસિસ:માછીમારના ડીઝલમાં રૂ. 22નો વધારો, સામાન્ય વાહન માટે મળતુ રૂ. 91નું ડીઝલ બોટ માટે રૂ .113નું લિટર મળશે

ખાડી યુધ્ધની અસર હવે માછીમારો પર પડી છે. માછીમારો બલ્કમાં ડીઝલ ખરીદી કરે છે. ત્યારે માછીમારોને ડીઝલના ભાવમાં લિટરે રૂ.22ના વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. સામાન્ય પેટ્રોલપંપ ખાતે હાલ ડીઝલનો લીટરનો ભાવ 91 રૂપિયા છે અને માછીમારોને માટે લિટરનો ભાવ 113 થયો છે ત્યારે કરોડપતિની ગાડીમાં રૂ. 91નું લિટર અને માછીમારોની બોટમાં રૂ. 113નું લિટર ડીઝલ મળશે. ડીઝલના ભાવમાં રૂ. 22નો વધારો થતા હાલ 1500 જેટલી બોટ પર ટ્રિપ દીઠ રૂ 88 હજારના હિસાબે રૂ.13.20 કરોડનો ફટકો પડશે જેથી બોટોને ફિશિંગમાં નફાને બદલે નુકશાની વેઠવાનો વારો આવશે. પોરબંદરનો માછીમાર ઉદ્યોગ અનેક લોકોને રોજગારી પૂરી પાડે છે અને વિદેશી હૂંડિયામણ કમાઈને આપે છે. માછીમાર ઉદ્યોગની હાલ સિઝન ચાલી રહી છે ત્યારે ખાડી યુધ્ધની અસર માછીમારો પર પડી છે. માછીમારો એક ટ્રિપ કરવા જાય ત્યારે 2 થી 4 હજાર લિટર ડીઝલ લઈને નીકળે છે. હાલ ડીઝલમાં લિટરે રૂ.22નો વધારો ચૂકવવા ફતવો આવી ગયો છે. હાલ બજારમાં ડીઝલ રૂ.91નું લિટર મળે છે અને માછીમારોને ડીઝલમાં રૂપિયા 22નો ભાવ વધારો ઝીંક્યો છે ત્યારે પોરબંદર જિલ્લામાં અંદાજિત 1500 જેટલી મોટી બોટ ફિશીંગ માટે નીકળે છે. એક લાંબી ટ્રીપ પર 2 થી 4 હજાર લિટર ડીઝલ લઈને જવું પડે છે ત્યારે એક ટ્રિપે રૂ.88 હજારના હિસાબે 1500 બોટને રૂ.13.20 કરોડનો ફટકો પડશે. સામાન્ય પેટ્રોલપંપ ખાતે રૂ.91નું લિટર ડીઝલ મળે છે ત્યારે હવે કરોડપતિની ગાડીમાં રૂ.91નું લિટર ડીઝલ અને માછીમારની બોટમાં રૂ.113 રૂપિયા લિટર ડીઝલ મળશે. માછીમારોને ડીઝલ પરનો તોતિંગ ભાવ વધારો અસહ્ય હોય અને માછીમારોને નફા કરતા નુકસાની વેઠવાનો વારો આવે તેમ હોવાથી માછીમારોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે અને આ ભાવ વધારો પાછો ખેંચવાની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે. માર્ચ 2022માં પણ રૂ.25નો વધારો ઝીંકાયો હતો માર્ચ 2022માં ફિશિંગમાં વપરાતા ડિઝલનો ભાવ પ્રતિલિટર રૂ 25નો ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો હતો જયારે રીટેઈલ આઉટેલટસ પર ડિઝલ સસ્તુ મળતું હતું. જે સામાન્ય રિટેલ ભાવ કરતા લગભગ રૂ.15 જેટલો વધારે હતો. એ સમયે પણ માછીમાર આગેવાનો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલન‎માછીમારોને મળતા ડીઝલમાં લિટરે રૂ.22 ના વધારો કરવામાં આવ્યો છે. 1500 જેટલી બોટ છે‎અને તેઓને એક ટ્રિપમાં જ રૂ.88 હજાર જેટલો વધારો આવશે તો માછીમારને નુકશાની‎આવશે. સમગ્ર રાજ્યના બંદર પરથી માછીમાર આગેવાનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે.‎ પોરબંદર દ્વારા પણ ડીઝલ પરના ભાવમાં વધારો પરત લેવા ઉગ્ર માંગ કરી છે. જો ભાવ વધારો‎પરત નહીં લેવામાં આવે તો પોરબંદર સહિત રાજ્યમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. >‎મુકેશભાઈ પાંજરી, પ્રમુખ, માછીમાર બોટ એસો. પોરબંદર‎

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 4:00 am

ભૂ માફિયાઓમાં ફેલાયો ફફડાટ:કેશોદનાં બામણાસામા ખનીજ દરોડા, 1 જેસીબી, 4 ટન માટી સાથે 3 ટ્રેક્ટર જપ્ત

કેશોદના બામણાસા ઘેડ ગામે ખાણ ખનીજ વિભાગની ટીને 1 જેસીબી, માટી ભરેલ એક ટ્રેક્ટર સહિત 3 ટ્રેકટર મળી કુલ 4 વાહનો ઝડપી પાડતાં ભૂ માફિયાઓમાં ફફળાટ ફેલાયો છે. બામણાસા ઘેડ ગામે 1200 વિઘા ગૌચરની જમીન આવેલી છે. જેમાં ભૂમાફિઓએ ગેરકાયદેસર મોટા ભાગનું ગૌચર ખોદી નાખેલ છે. ગ્રામ પંચાયત દ્વારા તાજેતરમાં કોઈએ ગૌચર ખોદવું નહીં તેવો મનાઇ કરતો ઠરાવ પણ કર્યો હતો છતાં ગૌચરમાં ગેરકાયદેસર ખોદકામ થતું હતું. ગામના જ એક અનુ. જાતીના અરજદાર અને એક સીઆઇએસએફ જવાને ગૌચર માંથી ગેર કાયદેસર માટી ચોરી કરી ખેતર નજીક માટીના પાળો બનાવવામાં આવતો હોવાની ફરિયાદ કરી હતી આથી ખાણ ખનીજ વિભાગ સફાળી જાગી હતી ગૌચરમાં દરોડા પાડયાં હતાં જેમાં જીજે 11 બીજે 0054 નંબરનું જીસીબી, 4 ટન માટી ભરેલ જીજે 11 સીએલ 2271 નંબરનું ટ્રેકટર, જીજે 17 સીએ 7324 નંબરનું ટ્રેકટર, જીજે 11 સીએલ 3441 નંબરનું ટ્રેકટર એમ મળી કુલ 32 લાખનો મુદામાલ જપ્ત કરી પોલીસ સ્ટેશન અને સર્કિટ હાઉસ ખાતે રખાવી ખાણ ખનીજ વિભાગના દેવાભાઈ બી. છારિયા સહિતની ટીમ દ્વારા દંડનિય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તલાટી મંત્રીએ માટી ચોરી સ્વીકારીબામણાસા ઘેડ ગ્રા. પં. તલાટી મંત્રી પી. બી. ગરેજા સાથે વાત કરતા તેમણે ગ્રા. પં. હેઠળ ગૌચરમાં ગેરકાયદેસર માટી ખોદકામ થતું હોવાની વાત સ્વીકારી હતી. આ અંગે તેમણે ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 4:00 am

વૃદ્ધે જીવન ટૂંકાવ્યું:બીમારીથી કંટાળી ઝેરી ટીકડા પી લેતા જૂથળના વૃધ્ધનું મોત

માળીયાહાટીના તાલુકાના જુથળ ગામના 56 વર્ષીય કરણાભાઇ જીવાભાઇ કાગડા નામના વૃદ્ધને માનસિક બીમારી હતી અનેક દવા, સારવાર કરાવવા છતાં પણ તબિયતમાં સુધારો આવેલ નહીં આખરે ગત તા. 18 માર્ચના રોજ રાત્રે રામવાવ પાટીયાના ચબુતરા પાસે ઝેરી ટીકડા ખાઇ લેતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન કરણાભાઇએ અંતિમ શ્વાસ લઈ લેતા પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઈ હતી. ઘટના અંગે પોલીસે આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 4:00 am

હુમલાની ઘટના:ચોબારીમાં ઘઉં લેવા જતા દંપતી પર સગા ભાઈનો હુમલો, ધમકી

જૂનાગઢ તાલુકાના ચોબારીમાં ઘઉં લેવા જતા દંપતી પર સગા ભાઈએ હુમલો કરી ધમકી પણ આપી હતી. આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર જૂનાગઢમાં જૂની સિવિલ હોસ્પિટલ પાસે હેઠાણ ફળિયામાં રહેતા 60 વર્ષીય અતૈયાબેન હસનભાઈ ખુમાર પોતાના પતિ સાથે રિક્ષા લઈને પિતાની વાડીએ ઘઉં લેવા માટે ચોબારી ગામે જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં બીજી ચોબારી ફાટક પાસે વળાંકમાં તેમનો સામનો જુનાગઢ રહેતા સગા ભાઈ અમીન અબ્દુલ્લાભાઈ મુળીયા સાથે થયો હતો. શખ્સે રિક્ષા રોકાવીને ઘઉં આપવાની બાબતે તકરાર શરૂ કરી હતી. ​બોલાચાલી ઉગ્ર બનતા અમીન ઉશ્કેરાઈ ગયો હતો અને બાજુમાં પડેલા બળતણના લાકડામાંથી ધોકો ઉપાડીને પોતાની બહેન પર હુમલો કરી જમણા પગના ઘૂંટણ પર અને જમણા હાથના ભાગે ફટકા માર્યા હતા. જ્યારે અતૈયાબેનના પતિ હસનભાઇ મદમદભાઇ વચ્ચે પડ્યા ત્યારે સાળા અમીન અબ્દુલ્લાએ તેમને પણ બે ઝાપટ મારી દીધી હતી. હુમલા દરમિયાન મહિલાએ કાનમાં પહેરેલી અડધા તોલાની સોનાની કડી ક્યાંક પડી ગઈ હતી. શખ્સે જતાં-જતાં પોતાની બહેનને ગાળો આપી 'જો તારો દીકરો જેલમાંથી છૂટીને આવશે તો તમને ટિકરાને પતાવી દઈશ' તેવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જૂનાગઢ તાલુકા પોલીસે મહિલાની ફરિયાદના આધારે તેના ભાઈ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ચોબારીમાં છેલ્લા ઘણા સમયથી હુમલાની ઘટનાઓ વધી ગઇ છે.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 4:00 am

કેશોદના મંગલપુર ફાટક પાસે દારૂ ઝડપાયો:પોલીસે પીછો કરતા કાર પલટી, દારૂનો જથ્થો ઝડપાયો, 3 ઇજાગ્રસ્ત, 2 ફરાર

પોલીસે પીછો કરતા કેશોદના મંગલપુર ફાટક પાસે એક કાર પલટી મારી ગઈ હતી. અકસ્માતગ્રસ્ત કારમાંથી રૂપિયા 2.14 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો હતો. ઘટનાથી કારમાં સવાર 3 શખ્સ ઇજાગ્રસ્ત થયા હતા અને 2 શખ્સ નાસી જવામાં સફળ રહ્યા હતા.જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચની કેશોદ પંથકમાં દારૂની હેરાફેરી કરતા બુટલેગરો પર લાલ આંખ કરી છે. મંગલપુર ફાટક પાસે પોલીસ દ્વારા કરવામાં આવેલા ફિલ્મી ઢબે પીછો દરમિયાન એક ઇનોવા કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માત બાદ કારમાંથી લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ઘટનામાં ત્રણ બુટલેગરો ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય બે શખસ પોલીસને હાથતાળી આપી નાસી છૂટવામાં સફળ રહ્યા છે. જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, એક સિલ્વર કલરની જીજે 11 બીઆર 9873 નંબરની ઇનોવા કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને કેટલાક શખ્સો મંગલપુર ફાટકથી મઢડા ગામ તરફ જઈ રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી હતી. પોલીસને જોતા જ બુટલેગરોએ પોતાની જીજે 11 બીઆર 98 l73 નંબરની ઇનોવા કાર પૂરપાટ ઝડપે હંકારી મૂકી હતી. પોલીસે પણ તરત જ સરકારી વાહન સાથે આ કારનો પીછો શરૂ કર્યો હતો. રસ્તા પર પકડાઈ જવાના ડરથી બુટલેગરોએ કાર પરનું નિયંત્રણ ગુમાવ્યું હતું અને ઇનોવા કાર મંગલપુર ફાટકથી મઢડા ગામ તરફ જતા રસ્તા પર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત સર્જાતા જ કારમાં સવાર 5 શખ્સમાંથી 2 અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યા હતા. જ્યારે અન્ય ત્રણ શખસ કારની અંદર જ ફસાઈ ગયા હતા અને તેમને નાની-મોટી ઈજાઓ થતા ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક ઇજાગ્રસ્ત આરોપી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કપૂરડી નેસના દુદા દેવરાજ કોડીયાતર, પોરબંદર જિલ્લાના બિલેશ્વરના નયન ટપુ વંશ અને બાલુ દાના કોડીયાતરને કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા. બીજી તરફ, નાસી છૂટેલા શખ્સો પોરબંદર જિલ્લાના ગનદિયાવડના પરેશ દાના કોડીયાતર અને કરસન કાના કોડીયાતરની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે પલટી મારેલી ઇનોવા કારની તલાશી લેતા તેમાંથી નાની-મોટી કુલ 975 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી.પોલીસે રૂ.2,14,860નો ઇંગ્લિશ દારૂ, કાર અને બુટલેગરોના મોબાઈલ ફોન મળી કુલ 12,34,860 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 4:00 am

સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત યોજાઈ ચિત્ર સ્પર્ધા:સ્વચ્છ જૂનાગઢની ચિત્ર સ્પર્ધામાં 48 છાત્રોએ ભાગ લીધો

સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત શહેરમાં સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ લાવવાના ઉમદા હેતુથી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ચૈતન્ય ટેકનો સ્કૂલ ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં નાનપણથી જ સ્વચ્છતાની ટેવ પડે અને તેઓ સમાજમાં પરિવર્તનના વાહક બને તેવો રહ્યો છે. આ સ્પર્ધામાં શાળાના કુલ 48 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાની કલા અને સર્જનાત્મકતા દ્વારા સ્વચ્છતાના વિવિધ પાસાઓને કાગળ પર કંડારી ચિત્ર પ્રદર્શન રજૂ કર્યું હતું. આ કાર્યક્રમ મેયર ધર્મેશ પોશીયા, કમિશનર તેજશ પરમાર (IAS) અને અન્ય પદાધિકારીઓના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો હતો. સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવશે. કાર્યક્રમમાં સેક્રેટરી કલ્પેશ જી. ટોલીયા, શાળાના આચાર્ય શ્વેતાબેન કાંજાણી તેમજ હિલદારી સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આયોજન અને સંકલન રાજેશ ત્રિવેદી તથા ધર્મેશ ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ આ સ્પર્ધા દ્વારા લોકોને પોતાનું ઘર, આંગણું અને શહેર સ્વચ્છ રાખવાનો મજબૂત સંદેશ પાઠવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 4:00 am

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની CMને રજૂઆત‎:ખાનગી એજન્સીથી થતી શાળા સહાયકની ભરતી બંધ કરો '

સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાનગી એજન્સી દ્વારા થતી શાળા સહાયકોની ભરતી બંધ કરી મેરિટથી ભરતી કરવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યુ કે, સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા સહાયકની જોગવાઇ થયા બાદ અમુક જિલ્લાઓમાં હાલમાં ખાનગી એજન્સી દ્વારા નિયુક્તિ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તે અંગે પરિપત્ર પણ જાહેર થયા છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં કોઇપણ પ્રકારની નિયુક્તિ અગાઉ આવી રીતે ખાનગી એજન્સી દ્વારા કરવામાં આવી નથી. અગાઉ જે રીતે મેરીટના આધારે ભરતી થતી એવી રીતે ફરી ભરતી શરૂ કરવામાં આવે તો શાળા અને વિદ્યાર્થીના હિત માટે સારૂ રહેશે. ઉપરાંત કોઇ શાળામાં આવા શૈક્ષણિક કે બિન શૈક્ષણિક કર્મચારી ન મળે તો સરકારના નિયમ મુજબ સરકાર દ્વારા પગાર ચૂકવવામાં આવવો જોઇએ. ખાસ વાત એ છે કે ભરતી સમયે એજન્સી દ્વારા કોઇપણ મેરિટ જોવામાં આવતુ નથી. જેને કારણે ખરેખર જે યોગ્ય ઉમેદવાર છે તે રહી જાય છે. પ્રાથમિક શાળામાં ભરતી જે ખાનગી એજન્સી મારફત થાય છે તે બંધ કરી સરકાર મેરીટ આધારે જ કરે તેવી અમારી માંગ છે. વેતનમાં 3 થી 4 હજાર કપાત આવે છેસરકાર દ્વારા ખાનગી એજન્સીને એક બિન શૈક્ષણિક કર્મચારી માટે અંદાજે 23 થી 24 હજાર જેટલી રકમ ચૂકવવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં કર્મચારીના હાથમા 3 થી 4 હજાર રૂપિયા ઓછા આવે છે. આમા એજન્સીને ફાયદો થઇ રહ્યો છે. સરકાર જે-તે કર્મચારીને યોગ્ય વેતન મળે તે રીતનુ આયોજન કરે તે જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 4:00 am

મગરનો જીવલેણ હુમલો:કાલિન્દ્રી નદીમાં મગરનો હુમલો, ખોરાસા ગીરના વૃદ્ધાનું મોત થયુ

ચોરવાડ નજીક કાલિન્દ્રી નદીમાં મગરનો હુમલો કરતા ખોરાસા ગીરના વૃદ્ધાનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે મળતી વિગતો અનુસાર માળીયાહાટીના તાલુકાના ખોરાસા ગીર ગામના 59 વર્ષીય બેનાબેન ઉકાભાઇ સેવરા ગુરુવારે સાંજે ચોરવાડ પોલીસ સ્ટેશન હેઠળના ખોરાસા ગામની સીમમાં આવેલ કાલિન્દ્રી નદીએ ગયા હતા. ત્યારે કોઈપણ કારણસર નદીમાંથી મગરે વૃધ્ધા પર હુમલો કરી બચકા ભરી લેતા બેનાબેનનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાથી ખોરાસાના ગ્રામ્ય વિસ્તારમાં ગમગીની પ્રસરી ગઈ હતી. બનાવની જાણ થતા ચોરવાડ પોલીસે દોડી જઈને આગળની કાર્યવાહી કરી હતી અને મૃતકના પુત્ર વિજયભાઈનું નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી હતી. વનવિભાગે ત્રણ પાંજરા મૂક્યા‎ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. મગરને પકડવા‎ માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા નદી કિનારે ત્રણ પાંજરા મૂકવામાં આવ્યા‎છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વન‎વિભાગ દ્વારા સ્થાનિક લોકોને નદી અને જળાશય નજીક સાવચેતી‎ રાખવા તેમજ એકલા ન જવાની અપીલ કરવામાં આવી છે.‎

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 4:00 am

ભાસ્કર યુટિલિટી:રમત, શિક્ષણ, સેવા, કલા- સાહિત્ય સહિતમાં ઉત્તમ કામ કર્યુ છે ? 21મી સુધીમાં અરજી કરો

જૂનાગઢ જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી દ્વારા ગુજરાત રાજ્યમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓ અને સંસ્થાઓને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત ગૌરવ એવોર્ડ – 2025 માટે અરજી મંગાવવામાં આવી છે. આ એવોર્ડમાં રમતગમત, શિક્ષણ, સામાજિક સેવા, કલા-સંસ્કૃતિ, સાહિત્ય તેમજ અન્ય ક્ષેત્રોમાં ઉત્તમ કામગીરી કરનાર પ્રતિભાશાળી વ્યક્તિઓ - સંસ્થાઓને માન્યતા આપવામાં આવશે. જિલ્લાના તમામ સરકારી અર્ધસરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ સહિતના જોડાઇ શકશે. ઇચ્છુકોએ અરજી તારીખ 21 માર્ચ સુધીમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સરદાર પટેલ રમત સંકુલ, ગાંધીગ્રામ, મેંદરડા રોડ, કાર્મેલ કોન્વેન્ટ સ્કુલની પાછળ આપવાની રહેશે એમ જણાવ્યુ છે. ઉમેદવારોએ આટલી વિગતો જમા કરાવવાની રહેશે દરખાસ્ત કરનાર ઉમેદવારે સંપુર્ણ માહિતી નામ, જન્મતારીખ અને ઉમર, જન્મ સ્થળ, હાલનુ સરનામું, ધંધો- નોકરી (સરકારી કર્મચારીના કિસ્સામાં હોદ્દો અને કચેરીનું સરનામું), કામગીરીનું ક્ષેત્ર, ભૂતકાળમાં રાજ્યકક્ષાના કે અન્ય કોઈ એવોર્ડ મળ્યો હોય તો તે વિગત, ભુતકાળમાં કોઈ એવોર્ડ માટે દરખાસ્ત મોકલવામાં આવી હોય તો તેની વિગત, જે પ્રવૃતિ માટે અરજી કરી છે તેનો વધુમાં વધુ બે પાનાનો અહેવાલ, પ્રાપ્ત સિદ્ધિઓ તથા જરૂરી પુરાવા દસ્તાવેજો ફરજિયાત રીતે જોડવાના રહેશે.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 4:00 am

ભાસ્કર વિશેષ:વિકલાંગો પોતાની રીતે અવર-જવર કરી શકે તે માટે ગાડી,સાયકલ અને હેલમેટ પણ અપાયા

જૂનાગઢ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા જિલ્લાના કુલ 167 વિકલાંગ લાભાર્થીઓને મોટર ટ્રાયસિકલ તથા જોઈસ્ટિક વ્હીલચેર આપવામાં આવી છે. આ બંને સાધનો બેટરી આધારિત હોવાના કારણે ઉપયોગમાં સરળતા રહેતી હોવાનું જણાવવામાં આવ્યું છે. સમાજ સુરક્ષા અધિકારી સૈયદ વસીમે જણાવ્યુ કે, દિવ્યાંગ મોટર ટ્રાયસિકલ અને જોઇસ્ટીક વ્હીલચેર યોજના અંતર્ગત બેટરીવાળા ઉપકરણોનુ વિતરણ કરાયુ છે. આ યોજનાનો મુખ્ય હેતુ વિકલાંગ વ્યક્તિઓને સ્વતંત્ર બનાવવાનો અને તેમની દૈનિક જીવનશૈલીને સરળ બનાવવાનો છે. મોટર ટ્રાયસિકલ અને જોઈસ્ટિક વ્હીલચેર મળવાથી લાભાર્થીઓને હવે અન્ય પર નિર્ભર રહેવાની જરૂરિયાત ઘટશે. ખાસ કરીને રોજિંદા કામકાજ, સારવાર માટે જવા કે અન્ય સ્થળોએ પહોંચવા માટે આ સાધનો મદદરૂપ બનશે. બેટરી સંચાલિત આ સાધનો દ્વારા વિકલાંગ વ્યક્તિઓ હવે સામાન્ય માણસની જેમ એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી જઈ શકશે. પરિવહન માટેની મુશ્કેલીઓમાં ઘટાડો થશે અને તેમની સામાજિક તથા આર્થિક પ્રવૃત્તિમાં ભાગીદારી વધશે. જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા આવી યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકોને મળે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એમ જણાવ્યુ છે. તાલુકા મુજબ લાભાર્થીઓની સંખ્યા:

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 4:00 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:શહેરમાં 16,102 પીએનજી કનેકશન, એકેય ગ્રાહકે ગેસના બાટલા જમા કરાવ્યા નથી, હવે એજન્સી કનેકશન રદ કરશે

અમેરીકા અને ઇઝરાયલના ઇરાન પરના સંયુક્ત હુમલાને લઇ ગુજરાત સરકારે ગેસના સિલિન્ડરની કાળાબજારી અટકાવવા તારીખ 18 માર્ચ સુધીમાં પીએનજી ગેસ લાઇન અને એલપીજી ગેસની બોટલનુ કનેકશન બંને ચાલુ હોય તો બોટલ જમા કરાવવાની સુચના આપી છે. પરંતુ જૂનાગઢ શહેરમાં 16,102 પીએનજી કનેકશન ધારકોમાંથી એકપણે પોતાના એલપીજી સિલિન્ડર હજુ જમા કરવામાં આવ્યો નથી. આથી હવે ડિલેવરી સમયે એજન્સી પૂછપરછ કરી કનેક્શન રદ કરશે. જિલ્લા પુરવઠા અધિકારી કે.બી.ગરસરએ જણાવ્યુ કે, જે ગ્રાહકો પીએનજી કનેકશન ધરાવતા હોય અને એલપીજીની બોટલ મંગાવતા હોય તો તેને જે-તે એજન્સીમાં જઇને બોટલ જમા કરાવવાની ફરજીયાત રહેશે. જૂનાગઢ શહેરમાં પીએનજી ગ્રાહકો 16,102 નોંધાયેલા છે. જૂનાગઢ શહેરમાં 12 મળી જિલ્લામાં કુલ 34 ગેસ એજન્સી આવેલી છે. શહેરની એકપણ એજન્સીમાં કોઇપણ પીએનજી ગ્રાહકે ગેસની બોટલ જમા કરાવી નથી એવુ જાણાયુ છે. હાલ કોઇપણ ગેસ એજન્સીમાંથી કોઇપણ પ્રકારની કાળા બજારી ન થાય તે માટે તંત્રની એક ટીમમાં 3 લોકો એમ 10 ટીમ તપાસ માટે તૈનાત રાખી છે. તેમજ તમામ ગેસ એજન્સીમાં એક- એક પોલીસકર્મી ફરજ પર રાખવા જણાવ્યુ છે. કઇ રીતે બાટલો જમા કરાવવો અને તેના નિયમો અહીં જાણો... પ્રશ્ન: એક ઘરમાં બે સભ્યોના નામે સિલિન્ડર, ગેસ લાઇન હોય તો? જવાબ: બે અલગ નામે કનેક્શન હોય. પણ રસોડુ એક જ ચાલતુ હોય અને પીએનજી લાઇનનો જ વપરાશ થતો હોય તેને જમા કરાવવુ પડશે . પ્રશ્ન: સિલિન્ડર જમા કઇ રીતે કરાવવાનુ રહેશે ?જવાબ: સિલિન્ડર જમા કરાવવાની પ્રક્રિયા ઓફલાઇન છે. જે ગેસએજન્સી લાગુ પડતી હોય ત્યા બોટલ જમા કરાવવાની અને ત્યાથી ડિપોઝીટ પરત મળી જશે. પ્રશ્ન: ઇ-કેવાયસી કેમ કરવામાં આવી રહ્યું છે? જવાબ: સાચા ગ્રાહક સુધી સિલિન્ડર પહોંચે તે માટે આ ઇ-કેવાયસીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. કનેકશન ગુમાવવાની બીકથી 40% બુકીંગ ઘટ્યું ગેસ એજન્સી મેનેજરે જણાવ્યુ કે, જ્યારથી યુદ્ધ શરૂ થયુ અને બોટલની અછત ઉભી થશે તેવુ જાહેર થતા લોકોના બુકીંગ ખુબ જ વધ્યા હતા. એટલે કે એક દિવસમાં એક હજારથી 1200 બુકીંગ થઇ જતા હતા. પરંતુ જ્યારથી સરકારે પીએનજી ગ્રાહકોને એલપીજી બોટલ જમા કરાવવાની રહેશે એવો નિયમ કરતા લોકો કનેકશન ગુમાવવાની બીકે બુકીંગ જ કરાવતા નથી એટલે કે બુકીંગમાં 40 ટકા જેટલો ઘટાડો આવ્યો છે. એલપીજી ગ્રાહકો કનેકશન રાખવા પાછળના આ કારણો જણાવે છેએજન્સીમાં બુકીંગ કરાવ્યા બાદ જ્યારે જે-તે એજન્સીની ગાડી બોટલ દેવા માટે ઘરે જાય છે અને ત્યાં તપાસ કરતા પીએનજી કનેકશન જોવા મળે તો જે-તે એજન્સીનો માણસ ગ્રાહકને કનેકશન રદ કરવાનુ કહે છે. તો ગ્રાહક અમારે ગેસ ગીઝરમાં બોટલની જરૂર પડે છે, અમારા બીજા ભાઇ ઉપર રહે છે તેને રસોડામાં જોઇતો હોય છે આવા કારણો આપે છે. અને અમુક તો ઝગડો કરવા દોડે છે કે બુકીંગ કરાવ્યુ છે તો અમે પૈસા દઇએ છીએ તમારે બોટલ આપવી જ પડશે એમ જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 4:00 am

વાતાવરણ:કમોસમી વરસાદથી મહત્તમ પારો 31 ડિગ્રી

જામનગરમાં કમોસમી વરસાદના કારણે મહત્તમ તાપમાનનો પારો 2 ડિગ્રી નીચે સરકીને 31 ડિગ્રીએ પહોંચ્યો છે. ગરમીમાં લોકોએ રાહત અનુભવી છે. તો રાત્રીના વાતવરણમાં ઠંડક પ્રસરી જાય છે. વાતાવરણમાં આવેલા પલટાના કારણે ગુરુવારે બપોર બાદ જામનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં છુટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં તાપમાનમાં લઘુત્તમ તાપમાન 20.5 ડિગ્રી તેમજ મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને ભેજનું પ્રમાણ 87 ટકા તેમજ પવનની ગતિ પ્રતિકલાકના 8 થી 15 કિ.મી.ની રહેવા પામી હતી. એટલે કે, કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાનમાં દોઢ ડીગ્રીનો ઘટાડો થયો છે. તો ભેજનું પ્રમાણ 10 ટકા વધીને 87 ટકા નોંધાયું છે.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 4:00 am

શિક્ષણ:જામનગરમાં બોર્ડ પરીક્ષાના પેપર્સનું 11 કેન્દ્ર પર મૂલ્યાંકન

જામનગર સહિત્ રાજયભરમાં બુધવારે ઘો.10 અને 12ની બોર્ડ પરીક્ષા પૂર્ણ થઇ હતી જે બાદ બોર્ડના પેપર્સનુ મુલ્યાંકન શરૂ કરવામાં આવ્યુ છે.શિક્ષણ વિભાગ દ્વારા જામનગરમાં ઘો.10 માટે જુદા જુદા 6 કેન્દ્ર ખાતે ઉપરાંત ઘો.12 સામાન્ય પ્રવાહમાં ચાર કેન્દ્ર ખાતે પેપર્સનુ મુલ્યાંકન ચાલી રહયુ છે. જયારે ઘો.12 વિજ્ઞાન પ્રવાહ માટે એક કેન્દ્ર ખાતે પેપર્સનુ મુલ્યાંકન ચાલી રહયુ છે. રાજયના શિક્ષણ બોર્ડ દ્વારા ઘો.10 અને 12ના પરીક્ષાર્થીઓના પેપર્સના મુલ્યાંકન માટે નિયત સ્ટાફ પણ અગાઉ જ ફાળવી દેવાયો હતો.જે સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ બોર્ડના પેપર્સના મુલ્યાંકનની કામગીરી ગુરૂવારથી શરૂ કરી દેવાઇ છે.સંભવત આગામી દશેક દિવસ સુધી જુદા જુદા નિયત કેન્દ્રો ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓના પેપર્સનુ મુલ્યાંકન પૂર્ણ કરી દેવાશે.નિયત કેન્દ્રો પર બંદોબસ્ત પણ તૈનાત રાખવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 4:00 am

માર્ગદર્શન:જામનગર જિ.પં.ના વહીવટદારનો કલેકટરે ચાર્જ સંભાળ્યો, અધિકારીઓને તાકીદ કરી

જામનગર જિલ્લા પંચાયતની વર્તમાન ટર્મ પૂર્ણ થતા વહીવટદાર તરીકેનો પદભાર સંભાળ્યા બાદ, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે જાહેર રજાના દિવસે પણ જિલ્લા પંચાયતના વિવિધ વિભાગોની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરવા માટે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી વહીવટી તંત્રમાં ગતિશીલતા લાવવાનો પ્રેરક પ્રયાસ કર્યો હતો. જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ તથા તમામ શાખાઓના વડાઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વહીવટદાર તરીકે કલેક્ટરએ પદભાર સંભાળતાની સાથે જ જનસેવાના કાર્યોમાં રજાના દિવસે પણ સક્રિય રહીને વહીવટી પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવા અને લોકહિતના કાર્યોને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવા પર ભાર મૂક્યો છે. ​આ સમીક્ષા બેઠક દરમિયાન કલેક્ટરે વહીવટી પ્રક્રિયાના કારણે પ્રજાના કોઈ પણ કામમાં વિલંબ ન થવો જોઈએ અને આયોજન હેઠળના તમામ વિકાસકાર્યો નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવે તે અનિવાર્ય છે. જિલ્લા પંચાયત હસ્તકના જે પ્રજાલક્ષી કામો લાંબા સમયથી પડતર છે, તેનો સત્વરે નિકાલ લાવીને સરકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી સમયસર પહોંચે તે જોવા તેમણે અધિકારીઓને તાકીદ કરી હતી. જો કોઈ અગત્યના પ્રોજેક્ટ કે કામગીરીમાં કાયદાકીય કે ટેકનિકલ અડચણ ઉભી થતી હોય, તો વિલંબ કરવાને બદલે તુરંત જ જરૂરી માર્ગદર્શન મેળવી પ્રશ્નોનું નિરાકરણ લાવવા સૂચનાઓ આપી હતી.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 4:00 am

ચેકીંગ:જામનગર જિલ્લામાંથી ગેસના 25 બાટલા સ્થગિત કરતુ પુરવઠા તંત્ર

જામનગર શહેર-જિલ્લામાં ગેસના બાટલાઓની સંગ્રહખોરી અટકાવવા માટે જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા હાથ ધરાયેલી ચેકીંગમાં 25 બાટલાઓ જપ્ત કરવામાં આવ્યા છે. તંત્રની સઘન ચેકીંગથી બાટલાઓની સંગ્રહખોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસના બાટલાની સમસ્યા ઉદ્ભવતા અમુક લોકો કાળા બજાર કરી રહ્યા છે. જેથી પુરવઠા તંત્ર દ્વારા ચેકીંગની કામગીરી કરવામાં આવી રહી છે. જામનગર જિલ્લા પુરવઠા તંત્રએ ચેકીંગ દરમિયાન કુલ 25 બાટલાઓ સ્થગિત કર્યા હતાં. જેમાં 19.2 કિ.ગ્રા.વજનના કુલ 6 કોમર્શિયલ એલપીજી ગેસ સિલીન્ડર ભરેલા રૂ.25,989ની કિંમતના તેમજ 15 નંગ ખાલી કોર્મશિયલ એલપીજી ગેસ સિલીન્ડર રૂ.36,000ની કિંમતના મળીને કુલ રૂ.61,989નો જામનગર ગ્રામ્ય મામલતદાર દ્વારા કબજે કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા હોટલ તથા રેસ્ટોરન્ટમાં તપાસણી ટીમ દ્વારા તપાસ કરી 3 એકમો પરથી કોમર્શિયલ હેતુ માટે ઉપયોગમાં લેવાતા હોય તેવા કુલ 4 ઘરેલુ એલપીજી ગેસ સિલીન્ડર જપ્ત કરવામાં આવેલ છે, જેની કિંમત રૂ.12,500 ગણવામાં આવી છે. જામનગર પુરવઠા તંત્ર દ્વારા શહેર-જિલ્લામાં ગેસના બાટલાઓની સંગ્રહખોરી તેમજ કાળા બજાર અટકાવવા માટે તમામ તાલુકા મથકો સહિત સાત ટીમો કાર્યરત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 4:00 am

ઉગ્ર વિરોધ:જામનગરની આંગણવાડીઓમાં 3 દિવસથી તાળાબંધી

આંગણવાડી મહિલાઓની પગાર વધારા સહિતના 12 મુદાઓની માંગણીઓ સંતોષાતી ન હોવાથી જામનગરમાં છેલ્લા ત્રણ દિવસથી આંગણવાડીઓને તાળાબંધી કરીને ધરણા સહિતના વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. જેમાં એક દિવસ તો મહિલાઓએ સૌરાષ્ટ્ર ઝોનનો રાજકોટ ખાતે પણ વિરોધ નોંધાવ્યો હતો. જામનગરની આંણવાડીની બહેનોને હાઈકોર્ટના હુકમ બાદ પણ પગાર વધારો સરકાર ચુકવતી નથી. તો ઓનલાઈનની કામગીરી કરાવે છે, પરંતુ મોબાઈલ નથી આપતી, મોંઘવારી ભથ્થુ સહિતના જુદા જુદા 12 મુદાઓ અંગે વર્ષોથી રજુઆતો કરવામાં આવી રહી છે. તેમ છતાં પ્રશ્નોનો ઉકેલ આવતો નથી. જેથી આંગણવાડી યુનિયનના આદેશ બાદ જામનગરના આંગણવાડી બહેનોએ ત્રણ દિવસ ઓનલાઈન કામગીરી બંધ કરીને વિરોધ નોંધાવ્યા બાદ આજે શુક્રવારના 3 દિવસથી આંગણવાડીઓમાં તાળાબંધી કરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં કોઈ સાંભળતું નથી. હવે આગામી દિવસોમાં જલદ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ છે. જેમાં ગુરૂવારે તો રાજકોટ ખાતે સૌરાષ્ટ્રકક્ષાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જેમાં સૌરાષ્ટ્રભરની મહિલાઓ ઉમટી હતી. લાંબા સમયથી પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 4:00 am

વીજતંત્રની યુધ્ધના ધોરણે કામગીરી:જામનગરમાં 100 ફીડરો અસરગ્રસ્ત થતાં 6 કલાકમાં 95 ફીડરો વીજ પુરવઠો કાર્યરત

જામનગર શહેરમાં તોફાની પવનના કારણે વીજ પુરવઠો ખોરવાતા વીજતંત્રએ યુધ્ધના ધોરણે કામગીરી કરીને માત્ર 6 કલાકમાં જ શહેરના 100માંથી 95 ફીડરોની કામગીરી કરીને વીજપુરવઠો સપ્લાય કરી દીધો હતો. તો ગ્રામ્ય વિસ્તારોના પણ અસરગ્રસ્ત 452 ગામોમાંથી 387 ગામડાઓમાં વિજપુરવઠો કલાકોમાં જ શરૂ કરી દીધો હતો. હવામાન ખાતાની આગાહીના પગલે ગુરૂવારે બપોર બાદ એકાએક જામનગરમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો, શરૂઆતમાં તોફાડી પવન સાથે આંધી આવી હોય તેમ પવનની ડમરીઓ ઉડતા અફડા-તફડી મચી ગઈ હતી. આખા શહેર અને જિલ્લામાં વીજળી ગુલ થઈ હતી. જેથી જામનગર પીજીવીસીએલની ટુકડીઓએ યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. જામનગર શહેરના 100 જેટલા અસરગ્રસ્ત 11000 વોલ્ટના ફીડરમાંથી 95 ફીડરને લાઈન ઉપર ઉડીને આવીને પડેલા ઝાડની ડાળીઓ, લોખંડના બોર્ડ, કાપડ અને અન્ય વસ્તુઓ થાંભલાઓ ઉપર ચડીને દુર કરીને 6 કલાકમાં વીજપુરવઠો સપ્લાય શરુ કરી દીધી હતી. તેમજ બાકી રહેતા 5 ફીડરોની મોડી રાત્રિ સુધી કામગીરી કરીને કાર્યરત કરાયા હતા. આ ઉપરાં જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાના 726 ગામોમાંથી 452 ગામો તોફાની પવનથી અસરગ્રસ્ત થયા હતા. જેથી તે ગામોમાં વીજ પુરવઠો સપ્લાય માટે કામગીરી શરૂ કરાઈ હતી. સાંજ પડતા જ 387 ગામડાઓમાં વીજ પુરવઠો ચાલુ કરી દેવાયો હતો. જ્યારે બાકી રહેતા ગામોની રાત્રિ ઉપરાંત શુક્રવારે આખો દિવસ કામગીરી કરી પુરવઠો શરુ કરાયો હતો.

દિવ્ય ભાસ્કર 21 Mar 2026 4:00 am