SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

31    C
...

સિહોર નજીક I-20માંથી 488 વિદેશી દારૂની બોટલો સાથે બે ઝડપાયા:7.58 લાખનો મુદ્દામાલ જપ્ત, સપ્લાયરથી લઈ ખરીદદારો સુધી 7 શખ્સો સામે ગુનો નોંધાયો

ભાવનગર પેરોલ-ફર્લો સ્કવોડે બાતમીના આધારે સિહોર નજીક નેસડા ગામે હીરનગર રોડ પર પેટ્રોલિંગ દરમ્યાન પસાર થતી કારને રોકી તપાસ કરતા I-20 કારમાંથી ગેરકાયદે ઘુસાડવામાં આવતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. પોલીસે કુલ રૂ. 7.58 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી બે શખ્સોને ઝડપી લીધા હતા, જ્યારે પૂછપરછમાં દારૂના સપ્લાય અને વેચાણ સાથે સંકળાયેલા અન્ય શખ્સોના નામ પણ બહાર આવતા આ ઘટનાને પગલે સિહોર પોલીસે કુલ સાત શખ્સો સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયાગતરોજ ભાવનગર પેરોલ-ફર્લો સ્કવોડ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમીના આધારે સિહોર નજીક નેસડા ગામે હીરનગર જવાના રસ્તા પર આઇ-20 કાર નં. GJ-03-HK-3004ને રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી ગેરકાયદે વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેમાં કુલ 488 નંગ બોટલો કિંમત રૂ. 2,48,091 ઉપરાંત બે મોબાઈલ ફોન રૂ. 10,000 અને કાર કિંમત રૂ. 5,00,000 મળી કુલ રૂ. 7,58,096 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી યુવરાજ ઉર્ફે શિવરાજ ખાચર (રહે. લોયાગામ, તા. સાયલા) અને મિલન સોમનાથભાઈ રાઠોડ (રહે. ખોડિયારનગર, સિહોર)ને ઝડપી લઈને વધુ કાર્યવાહી માટે સિહોર પોલીસને સોંપ્યા હતા. સુરેન્દ્રનગરથી જથ્થો લાવીને સિહોર લઈ જતા હતાપકડાયેલા આરોપીઓની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે, આ વિદેશી દારૂનો જથ્થો આલકુ ભાંભડા (રહે. ભાણેજડા, તા. સાયલા) અને ઉદયભાઈ પાંધલ (રહે. થાન, જી. સુરેન્દ્રનગર) પાસેથી લાવવામાં આવ્યો હતો અને તેને નેસડા ગામના વિપુલ કલાભાઈ ડાંગર, સિહોરના મહેશ દેવશીભાઈ જોટાણા તથા જયરાજ શિવાભાઈ મોરીને વેચાણ માટે પહોંચાડવાનો હતો. 7 શખ્સો સામે ગુનો નોંધાયોજે મામલે સિહોર પોલીસે કુલ 7 શખ્સો સામે પ્રોહિબિશન એક્ટની કલમ 65(a)(e), 116-B, 81, 83 અને 98(2) હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 1:51 pm

નવસારીમાં કન્ટેન્ટ ક્રિએટર્સને 15 દિવસમાં 60 હજાર કમાણી:ઉમેદવારોએ મતદારો સુધી પહોંચવા સોશિયલ મીડિયાનો સહારો લીધો

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રચારનો માહોલ ગરમાયો છે. આ ચૂંટણી માત્ર રાજકીય પક્ષો માટે જ નહીં, પરંતુ શહેરના ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર્સ માટે પણ આવકનો મોટો સ્ત્રોત બની છે. ઉમેદવારો દ્વારા ડિજિટલ માધ્યમોના ઉપયોગને કારણે ફોટોગ્રાફર્સ અને વિડિયોગ્રાફર્સને માત્ર 15 દિવસમાં ₹50,000 થી ₹60,000 સુધીની કમાણી થઈ રહી છે. મહાનગરપાલિકામાં હદ વિસ્તરણ બાદ દરેક વોર્ડમાં મતદારોની સંખ્યા 15,000ને વટાવી ગઈ છે. આટલા મોટા જનસમુદાય સુધી રૂબરૂ પહોંચવું ઉમેદવારો માટે પડકારજનક બન્યું છે. ઉપરાંત, બપોરની ગરમીમાં ડોર-ટુ-ડોર પ્રચાર મુશ્કેલ બનતા રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારોએ ડિજિટલ માધ્યમોનો સહારો લીધો છે. ઉમેદવારો સોશિયલ મીડિયા રીલ્સ, પ્રોફેશનલ ફોટોગ્રાફી અને ડિજિટલ બેનર દ્વારા પ્રચાર કરી રહ્યા છે. આનાથી તેઓ ઓછા સમયમાં વધુ મતદારો સુધી પહોંચી શકે છે અને પોતાના સંદેશને અસરકારક રીતે રજૂ કરી શકે છે. વોર્ડ નંબર 10ના ઉમેદવાર સુનિલ રઘુનાથ પાટીલે જણાવ્યું કે, અમે વોર્ડ નંબર 10માં જોરશોરથી પ્રચાર કરી રહ્યા છીએ અને જનતાનું સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે. નરેન્દ્ર મોદી દ્વારા પ્રમોટ કરાયેલ 'ડિજિટલ ઇન્ડિયા' આજે ખૂબ જ અસરકારક રીતે ચાલી રહ્યું છે. સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ જેવા ડિજિટલ માધ્યમો દ્વારા અમે પ્રમોશનની કામગીરી કરી છે. તેમણે ઉમેર્યું કે, આજના યુગમાં મોબાઈલ દરેકના હાથમાં હોવાથી, ડિજિટલ માધ્યમો જન-જન સુધી પહોંચવાનું ઉત્તમ માધ્યમ બન્યા છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 1:47 pm

સુરેન્દ્રનગરમાં ચૂંટણી પ્રચાર પર 48 કલાકનો પ્રતિબંધ:બહારના રાજકીય પદાધિકારીઓને મતવિસ્તાર છોડવા આદેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની એપ્રિલ-2026માં યોજાનારી ચૂંટણીને અનુલક્ષીને વહીવટી તંત્ર દ્વારા કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગના દિશાનિર્દેશો મુજબ, મતદાન પૂર્ણ થવાના 48 કલાક પહેલા ચૂંટણી પ્રચાર બંધ કરવાની જોગવાઈ હેઠળ, જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકીએ જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના ચૂંટણી હેઠળના વિસ્તારોમાં 24 એપ્રિલ, 2026ના રોજ સાંજે 6 વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર સંપૂર્ણ પ્રતિબંધ અમલમાં આવશે. આ પ્રતિબંધ મતદાન પૂર્ણ થવાના 48 કલાક પહેલા લાગુ પડશે. આ સમયગાળા દરમિયાન, જે તે મતવિભાગના મતદાર ન હોય તેવા બહારના રાજકીય પદાધિકારીઓ, પક્ષના કાર્યકરો અને અન્ય પ્રચારકોએ તાત્કાલિક ધોરણે ચૂંટણી હેઠળનો વિસ્તાર છોડી દેવાનો રહેશે. આ જાહેરનામું 24 એપ્રિલ, 2026 થી 26 એપ્રિલ, 2026 સુધી અમલમાં રહેશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 1:41 pm

બ્રેક ફેલ થતા BRTS બસ સોસાયટીમાં ઘૂસી ગઈ, VIDEO:દીવાલને નુકસાન થતા સ્થાનિકોમાં રોષ, બસ ઓપરેટરને 2 લાખનો દંડ ફટકારાયો

શહેરના ચાંદખેડા વિસ્તારમાં BRTS બસની બ્રેક ફેલ થઈ જવાના કારણે બસ ફ્લેટમાં ઘૂસી ગઈ હતી. ફ્લેટની દીવાલ તોડીને બસ અંદર જતી રહેતાં સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હતો. જોકે સવારના સમયે ઘટના બની હતી જેના કારણે પાર્કિંગમાં કોઈ વ્યક્તિ ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. બસ દ્વારા ગંભીર અકસ્માત સર્જવામાં આવતા સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ ફેલાયો હતો અને સોસાયટીના લોકોએ બસની ચાવી લઈ લીધી હતી. બસની બ્રેક ન વાગી હોવાના કારણે આ ઘટના બની હોવાનું હાલ પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે BRTS તંત્ર દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પગલા લેવામાં આવશે. બ્રેક ફેલ થતા બસ સોસાયટીની દીવાલમાં ઘૂસી ગઈમળતી માહિતી મુજબ આજે સવારે 8 વાગ્યાની આસપાસ ચાંદખેડા બીઆરટીએસ બસના સર્વિસ સ્ટેશન ડેપોમાંથી બસ બહાર કાઢી અને લઈ જવામાં આવી રહી હતી. બસ ડેપોમાંથી બહાર નીકળી હતી ત્યારે પ્રહલાદ પાર્ક પાસે બસ પહોંચતા તેની બ્રેક ફેલ થઈ ગઈ હોવાના કારણે બસ રોડ પરથી સીધી ફ્લેટના દિવાલ તરફ અથડાઈ ગઈ હતી. બસ ફ્લેટની દિવાલ તોડી અને ફ્લેટના મુખ્ય ભાગ પાસે અથડાઈ હતી જેના કારણે થઈને ફ્લેટનું ભારે નુકસાન થયું હતું. વહેલી સવારે જોરદાર અવાજ આવવાની સાથે જ સ્થાનિક લોકો દોડીને બહાર આવી ગયા હતા. બસ ઓપરેટરને 2 લાખનો દંડ ફટકારાયોઅમદાવાદ જનમાર્ગ લિમિટેડના અધિકારી રાહુલ શર્માએ જણાવ્યું હતું કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ટ્રાવેલ ટાઈમ ઓપરેટરની બસ હતી અને જે પણ નુકસાન થયું છે તે કોન્ટ્રાક્ટર પોતાના ખર્ચે કરીને આપશે. બસ ઓપરેટરને 2 લાખ રૂપિયા નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચાંદખેડા વિસ્તારમાં બીઆરટીએસ બસ સ્ટેન્ડનું વર્કશોપ આવેલું છે જે વર્કશોપમાં બસ ના કારણે અકસ્માતની આ ચોથી ઘટના બની છે અગાઉ પણ ત્રણથી ચાર વખત અકસ્માતની ઘટના બની છે. BRTS તંત્ર દ્વારા અગાઉ પણ આવી ઘટના બનતા દીવાલ ફરીથી બનાવી દેવામાં આવે છે પરંતુ આ વખતે પણ આ ઘટના બનતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. નવી દીવાલ બનાવી દેવા માટે તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 1:37 pm

અમરેલી SP સંજય ખરાતે 18 અરજદારોને રૂબરૂ બોલાવ્યા:સાવરકુંડલા રૂલર પોલીસ સ્ટેશનમાં પોલીસ કામગીરીની સમીક્ષા કરી

અમરેલી જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) સંજય ખરાતે સાવરકુંડલા રૂલર પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસણી દરમિયાન એક અનોખી પહેલ કરી હતી. તેમણે કુલ 18 ભોગ બનનાર અરજદારોને રૂબરૂ બોલાવી પોલીસની કામગીરી અને તેમની અરજીઓ પર થયેલી કાર્યવાહી અંગે સીધી માહિતી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન, SP ખરાતે અરજદારો સાથે કલાકો સુધી વાર્તાલાપ કર્યો હતો. તેમણે અરજીઓમાં થયેલી તપાસની કામગીરી અને કાર્યવાહી અંગે અરજદારોનો સંતોષ કે અસંતોષ જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ અભિયાનનો મુખ્ય હેતુ પ્રજા પ્રત્યે પોલીસની ફરજને વધુ મજબૂત બનાવવાનો હતો. ચર્ચા દરમિયાન, અસામાજિક પ્રવૃત્તિઓ, મહિલા અત્યાચાર, મિલકત સંબંધિત વિવાદો અને પારિવારિક સમસ્યાઓ જેવી વિવિધ પ્રકારની અરજીઓ રજૂ થઈ હતી. SP ખરાતે દરેક અરજીમાં થયેલી તપાસ અને કામગીરી અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. કેટલીક અરજીઓ બાબતે, SP સંજય ખરાતે સંબંધિત અધિકારીઓને યોગ્ય, નિષ્પક્ષ અને સમયસર તપાસ પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી. આ પહેલથી અરજદારોને સીધો ન્યાય મળવાની આશા જાગી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 1:37 pm

ભાજપના હાઈ પ્રોફાઇલ સોસાયટીના 200 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા:વડોદરા પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે ખેસ પહેરાવીને આવકાર્યા

મહાનગરપાલિકાની ચૂંટણી માટે હાલ રાજકીય રંગ જામ્યો છે. ત્યારે ચૂંટણી ટાણે પક્ષ પલટાની પણ મોસમ જામે છે. વડોદરા શહેરમાં વોર્ડ 16માં ભાજપ સાથે સંકળાયેલા 200 જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. આ વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે તેઓને ખેસ પહેરાવીને આવકાર્યા હતા. હાઈપ્રોફાઇલ સોસાયટીના 200 કાર્યકરો કોંગ્રેસમા જોડાયાશહેરના રાજકીય વાતાવરણમાં એક મોટો ગરમાવો જોવા મળ્યો છે, ખાસ કરીને વોર્ડ નંબર 16માં ભાજપના 200 થી વધુ સક્રિય કાર્યકરો અને અગ્રણીઓએ પક્ષનો છેડો ફાડીને વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. આ પક્ષપલટાની પ્રક્રિયા વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની સીધી આગેવાની હેઠળ યોજાઈ હતી. તેમની હાજરીમાં ભાજપના કાર્યકરોએ કેસરી ખેસ ત્યાગીને કોંગ્રેસનો તિરંગો ખેસ ધારણ કર્યો હતો. ભાજપના ગઢમાં ગાબડુંવોર્ડ 16ના આ ફેરફારમાં સૌથી નોંધપાત્ર બાબત એ છે કે વિસ્તારની અત્યંત હાઈ-પ્રોફાઈલ ગણાતી સોસાયટીઓ, જેવી કે શ્રીનાથ અરાઈઝ, વિસ્ટેરિયા હાઇટ્સ, કેશર ઓરિયન અને આરાધ્યા આંગન જેવી સોસાયટીઓના પ્રમુખો અને સ્થાનિક રહીશો પણ મોટી સંખ્યામાં કોંગ્રેસમાં જોડાયા છે. આ સોસાયટીઓના સમર્થનથી કોંગ્રેસ હવે આ વિસ્તારમાં ભાજપના ગઢમાં ગાબડું પાડવામાં સફળ રહી હોય તેમ જણાય છે. વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવથી રોષસ્થાનિક રહીશોમાં શાસક પક્ષ પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો. કોંગ્રેસમાં જોડાયેલા રહીશોનો મુખ્ય આરોપ છે કે છેલ્લા 2 વર્ષથી તેઓ રોડ, રસ્તા, પીવાનું શુદ્ધ પાણી અને સ્ટ્રીટ લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ માટે સતત રજૂઆતો કરી રહ્યા હતા. તેમ છતાં, ભાજપના સ્થાનિક કોર્પોરેટર કે ધારાસભ્ય દ્વારા તેમની સમસ્યાઓના ઉકેલ માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઉપેક્ષાને કારણે રહીશોએ અંતે ભાજપનો સાથ છોડી કોંગ્રેસ પર વિશ્વાસ મૂકવાનો નિર્ણય કર્યો છે. વિસ્તારમાં ભવ્ય ગરબા મેદાન બનાવવા માગનવા જોડાયેલા તમામ રહીશો અને કાર્યકરોને આવકારતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે ખાતરી આપી હતી કે તેમની તમામ સમસ્યાઓનું પ્રાથમિકતાના ધોરણે નિરાકરણ લાવવામાં આવશે. આ પ્રસંગે તેમણે એક મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આ વિસ્તારની માતા-બહેનોની સુવિધા માટે અને સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે સ્થાનિક સ્તરે જ એક ભવ્ય ગરબા મેદાન તૈયાર કરી આપવામાં આવશે. આ જાહેરાતથી સ્થાનિકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 1:27 pm

બાપુનગરમાં હોમગાર્ડ ઓફિસમાં બેલેટ પેપરથી મતદાનમાં વિવાદ:એક જ વ્યક્તિ 50-50 સિક્કા મારતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ, 5 સામે ફરિયાદ નોંધવા દેસાઈની અરજી

અમદાવાદના બાપુનગરમાં હોમગાર્ડ ઓફિસમાં બેલેટ પેપરથી મતદાનમાં વિવાદ સર્જાયો હતો. હોમગાર્ડ ઓફિસમાં ખોટી રીતે બેલેટ પેપર પર સિક્કા કરવાની પ્રક્રિયા થતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. બેલેટ પેપરમાં એક જ વ્યક્તિ 50 - 50 સિક્કા મારતા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. જેને લઈને કોંગ્રેસના ઉમેદવાર નાગજી દેસાઈએ પાંચ લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરી તપાસ કરવા પોલીસ અરજી કરી છે. જેમાં હોમગાર્ડના કમાન્ડર સ્નેહલ પટેલ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવા માટે પોલીસ અરજી કરવામાં આવી છે. જોકે હોમગાર્ડની ઓફિસને તાળું મારીને ચાવી પણ પોલીસને સોંપવામાં આવી છે. એક જ વ્યક્તિ 50 સિક્કા મારતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપકોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, ચૂંટણી અધિકારી હાજર ન હોવા છતાં બેલેટ પેપર પર એક જ વ્યક્તિ 50થી 60 સિક્કા મારવામાં આવતા હતા. જેથી બાપુનગર વોર્ડના કોંગ્રેસના ઉમેદવારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ હોમગાર્ડ ઓફિસ ખાતે પહોંચી ગયા હતાં. તેમજ તપાસ કરવા ચૂંટણી અધિકારીની હાજરી વગર જ બેલેટ પેપરથી સિક્કા મારવામાં આવતા હોવાથી કોંગ્રેસે હોબાળો કર્યો હતો. જો કે તે બાદ તાત્કાલિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હોમગાર્ડ કમાન્ડર સ્નેહલ પટેલ ભાજપ સાથે જોડાયેલો હોવાથી ખોટું ચાલતું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. જવાબદાર લોકોને જેલ ભેગા કરવાની કોંગ્રેસે માંગ કરીકોંગ્રેસના ઉમેદવાર નાગજી દેસાઈએ પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી છે. જેમાં પંકજ રાઠોડ, ગૌતમ પરમાર, વિજય જાદવ બેલેટ પેપરમાં સિક્કા મારતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ હોમગાર્ડ કમાન્ડર સ્નેહલ પટેલ અને જવાબદાર ચૂંટણી અધિકારી સામે ફરિયાદ દાખલ કરવા માટે અરજી કરવામાં આવી છે. યોગ્ય તપાસ કરી જવાબદાર લોકોને જેલ ભેગા કરવાની પણ કોંગ્રેસે માંગ કરી છે. 'અત્યારે જે કમાન્ડર છે તે ભાજપના પૂર્વ મહામંત્રી સ્નેહલ પટેલ છે'કોંગ્રેસના ઉમેદવાર નાગજી દેસાઈએ જણાવ્યું હતું કે, ગઈકાલે બેલેટ પેપરમાં સિક્કા મારતા હતા. જેમાં માત્ર હોમગાર્ડનું જ મતદાન થતું હતું. તેમજ હોમગાર્ ના વડા બંધારણીય રીતે સરકારના કાર્યકરો છે. અત્યારે જે કમાન્ડર છે તે ભાજપના પૂર્વ મહામંત્રી સ્નેહલ પટેલ છે. ગઈકાલે એક વ્યક્તિ 50થી 60 સિક્કા મારતા હતા. જેથી તપાસ કરવા માટે અમે અંદર ગયા અને વીડિયો ઉતારીને પોલીસને ફરિયાદ પણ કરવામાં આવી હતી. જે બાદ તપાસ કરતા એવું જાણવા મળ્યું કે ચૂંટણી અધિકારી તો હતા જ નહીં. જેથી વોર્ડના કાર્યકર્તાઓ પણ પહોંચી ગયા હતાં. જેથી મટીરીયલનો નાશ ન થાય તે માટે તાળું મારી દેવામાં આવ્યું હતું. જે બાદ તેની ચાવી પણ પોલીસને સોંપવામાં આવી છે. ચૂંટણી અધિકારી વગર જ ખોટી રીતે બેલેટ પેપરથી મતદાન થતું હોવાથી પોલીસને ફરિયાદ કરવામાં આવી છે. 'સિક્કા મરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવે તેવી અમારી માંગ'વધુમાં નાગજી દેસાઈએ જણાવ્યું હતું કે, જો પોલીસ અધિકારી યોગ્ય રીતે તપાસ કરે તો ઘણું બધું સામે આવી શકે છે. અધિકારી હાજર ન હોવા છતાં મટીરિયલ કઈ રીતે આવ્યું તે સૌથી મોટો સવાલ છે. સિક્કા મરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવે તેવી અમારી માંગ છે. ચૂંટણી પંચના અધિકારી વગર મતદાન ન થઈ શકે તો આટલી હદે ખોટું ચાલી રહ્યું છે. હોમગાર્ડ ઓફિસમાં જ જો આ રીતે ખોટું ચાલતું હોય તો અમારું માનવું છે કે લોકશાહીનું હનન થઈ રહ્યું છે. પોલીસ ફરિયાદમાં ત્રણ સિક્કાવાળા વ્યક્તિઓની નામજોગ ફરિયાદ કરી છે. હોમગાર્ડના કમાન્ડર સ્નેહલ પટેલ વિરુદ્ધ પણ લેખિત ફરિયાદ કરવામાં આવી છે. તેમજ જવાબદાર ચૂંટણી અધિકારી સામે પણ કાર્યવાહી થવી જોઈએ તે માટે પાંચ નામ આરોપી તરીકે આપવામાં આવ્યા છે. નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે તો સાચી હકીકત સામે આવશે. કોઈનો મત અન્ય કોઈ વ્યક્તિ આપી દે તે સૌથી મોટું પાપ છે. નિષ્પક્ષ તપાસ થશે તો ઘણા બધા લોકો જેલમાં પણ જશે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 1:15 pm

પાટણમાં હનીટ્રેપ ટોળકી ઝડપાઈ, જીવનસાથી એપથી ફસાવતા:પોલીસે ટેકનિકલ સોર્સ અને સીસીટીવીથી ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો

પાટણ પોલીસે રણુંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા હનીટ્રેપના ગુનાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ટોળકી મેટ્રિમોનિયલ એપ દ્વારા પુરુષોને ફસાવી ખંડણી ઉઘરાવતી હતી. પોલીસે સીસીટીવી કેમેરા, ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સંખારી ગામની સીમમાં ફરિયાદી પાસેથી પડાવેલ નાણાંની વહેંચણી કરવા એકઠા થયા છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર કોર્ડન કરી ત્રણ ઇસમોને પકડી પાડ્યા હતા, જેમણે પૂછપરછ દરમિયાન ગુનાની કબૂલાત કરી હતી. પકડાયેલા આરોપીઓમાં કરણજી કનુજી માધાજી ઠાકોર (રહે. ખિમિયાણા, પાટણ), દિનેશભાઇ હિરાભાઇ મેવાભાઇ રબારી (રહે. લેલાવા, બનાસકાંઠા) અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરનો સમાવેશ થાય છે. આ ટોળકીની મોડસ ઓપરેન્ડી મુજબ, ટોળકીની એક મહિલા સભ્ય 'જીવનસાથી' એપ પર ખોટા નામથી ફેક એકાઉન્ટ બનાવી લગ્ન કરવા ઈચ્છુક પુરુષોનો સંપર્ક કરતી હતી. ત્યારબાદ મહિલા તેને કોઈ અંતરિયાળ વિસ્તારમાં મળવા બોલાવતી હતી. જ્યારે ભોગ બનનાર વ્યક્તિ ત્યાં પહોંચે ત્યારે અન્ય આરોપીઓ ત્યાં આવી પોતે મહિલાના ભાઈ હોવાની ઓળખ આપતા હતા. તેઓ ભોગ બનનારને માર મારી અને ધમકાવીને મોટી રકમની માંગણી કરતા હતા. જો નાણાં ન મળે તો તેને બદનામ કરવાની ધમકી આપી તેનું અપહરણ કરતા અને રકમ મળી ગયા બાદ તેને છોડી મુકતા હતા. રણુંજ પોલીસ સબ ઇન્સપેક્ટર જે.ટી.ગઢવી અને સ્ટાફના માણસોએ આ સફળ કામગીરી કરી આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ એક્ટની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 1:10 pm

બોટાદમાં પાર્શ્વનાથ જિનાલયની 36મી સાલગીરી ઉજવાઈ:ગિરિરાજ જૈન સંઘ દ્વારા ધ્વજારોહણ કરાયું, મોટી સંખ્યામાં ભાવિકો હાજર

બોટાદમાં શ્રી ગિરિરાજ જૈન સંઘ દ્વારા શ્રી પ્રગટ પ્રભાવી પ્રાશ્વૅનાથ જિનાલયની 36મી સાલગીરીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વૈશાખ સુદ છઠ, બુધવાર, 22 એપ્રિલ, 2026ના રોજ ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો. સવારે 6:45 કલાકે ગિરિરાજ દેરાસરના બોર્ડ પાસેથી વાજતેગાજતે સામૈયું કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ સવારે 7:15 કલાકે ધ્વજારોહણ કરવામાં આવ્યું. આ શુભ અવસરે મોટી સંખ્યામાં જૈન સમાજના શ્રાવક-શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજારોહણ બાદ દર વર્ષની જેમ આ વર્ષે પણ સંઘ સ્વામિવાત્સલ્યનું આયોજન કરાયું હતું. શ્રી સંઘ તથા સ્વામિવાત્સલ્યના કાયમી અને આ વર્ષના સહાયક ફંડના લાભાર્થીઓ તરફથી સવારે 11:30 થી બપોરે 1:30 વાગ્યા સુધી ગિરિરાજ દેરાસરના સ્વામિવાત્સલ્ય હોલમાં ભોજન પ્રસાદ યોજાયો. વૈશાખ સુદ સાતમ, ગુરુવાર, 23 એપ્રિલ, 2026ના રોજ ઉપરના ગભારાના મૂળનાયક શ્રી આદિશ્વર ભગવાનની સાલગીરી પણ ઉજવવામાં આવશે. આ દિવસે પણ સંઘ સ્વામિવાત્સલ્યનું આયોજન કરાયું છે. શ્રી સંઘ તથા શ્રી સંઘ સ્વામિવાત્સલ્યના કાયમી તેમજ આ વર્ષના સહાયક ફંડના લાભાર્થીઓ તરફથી સવારે 11:30 થી બપોરે 1:30 વાગ્યા સુધી ગિરિરાજ દેરાસર ખાતે સ્વામિવાત્સલ્ય હોલમાં ભોજન પ્રસાદ યોજાશે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 1:07 pm

હારીજમાં વેપારી લૂંટ કેસ ઉકેલાયો, 6 આરોપી ઝડપાયા:2.80 લાખની લૂંટ કરનાર ગેંગના 5 આરોપી મધ્યપ્રદેશના

હારીજ ટાઉન પોલીસ મથકની હદમાં વેપારી પાસેથી છરીની અણીએ 2.80 લાખની લૂંટ ચલાવનાર આંતરરાજ્ય ટોળકીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી છે. હારીજના મેઈન બજારમાં ભાવેશ ટ્રેડિંગ નામની દુકાન ધરાવતા જયંતિલાલ ભુરાલાલ ઠક્કર રાત્રિના સમયે પોતાની દુકાન વધાવી ઘરે જઈ રહ્યા હતા. તે સમયે સોસાયટીના ગેટ પાસે બે અજાણ્યા ઇસમોએ તેમને આંતરી છરી બતાવી લૂંટ ચલાવી હતી. લૂંટારુઓએ વેપારીના થેલાના પટ્ટા છરીથી કાપીને રોકડ રકમની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પાટણ જિલ્લા પોલીસ વડા અને હારીજ પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. મહેરીયાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન બાતમી મળી હતી કે અગાઉ હારીજમાં રહી ચુકેલો અને હાલ વિસનગરમાં રહેતો દીપક સિંધી નામના શખ્સે બહારથી માણસો બોલાવી આ લૂંટને અંજામ આપ્યો છે. બાતમીના આધારે વિસનગર ખાતે શ્રીનાથનગર સોસાયટીમાં તપાસ કરતા દીપક સિંધી તેના ઘરે અન્ય સાગરીતો સ્નેહલ શાહ, સંજુ ડોડિયા, વરૂણ પ્રજાપત, ચિરાગ બસોડ અને જય બલૈઈ સાથે મળી આવ્યો હતો. પોલીસે આ તમામ 6 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી લૂંટમાં ગયેલી રોકડ રકમ 2.50 લાખ, 5 મોબાઈલ ફોન, 1 એક્ટિવા, 1 મોટરસાયકલ અને 2 નંબર પ્લેટ મળી કુલ 3.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે લૂંટમાં વપરાયેલ મોટરસાયકલ હિંમતનગરના મોતીપુરા બ્રિજ પાસેથી અને એક્ટિવા ગાંધીનગરના રાંધેજા પાસેથી ચોરી કરવામાં આવ્યું હતું. આ વાહન ચોરી અંગે પણ હિંમતનગર અને પેથાપુર પોલીસ મથકે ગુના નોંધાયેલા છે. પકડાયેલા 6 આરોપીઓ પૈકી દીપક સિંધી સિવાયના તમામ 5 આરોપીઓ મધ્યપ્રદેશના ઉજ્જૈનના વતની છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી રામુ ઠાકુરને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 12:55 pm

રાજકોટમાં પ્રદૂષિત પાણીનો કહેર !:માર્ચમાં મનપા દ્વારા લેવાયેલા નમૂનાઓ પૈકી પાંચ સ્થળે બેક્ટેરિયા મળ્યા, શુદ્ધ પાણી વિતરણનાં તંત્રનાં દાવાઓ સામે પ્રશ્નાર્થ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ 18 વોર્ડમાં ક્લોરિનયુક્ત અને શુદ્ધ પાણી વિતરણ કરવામાં આવતું હોવાના મોટા-મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. હાલમાં જ માર્ચ મહિનામાં મનપાએ લીધેલા 8901 નમૂનાઓનો રિપોર્ટ આવ્યો છે. જે પૈકી કેટલાક વિસ્તારોમાં વિતરણ કરાતું પાણી દૂષિત હોવાનું બહાર આવ્યું છે. ખાસ કરીને વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં લેવાયેલા પાણીના નમૂનાઓ પૈકી 5 સ્થળે બેક્ટેરિયાની હાજરી મળતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. એક તરફ ઉનાળાની આકરી ગરમી પડી રહી છે, બીજીતરફ દૂષિત પાણીને લઈ શહેરમાં પાણીજન્ય રોગચાળો વકરે તેવી શક્યતા છે. જોકે તંત્ર દ્વારા આ અંગે જરૂરી પગલાં લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. મહાનપાલિકાના વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો મુજબ તંત્ર દ્વારા ગત માર્ચ માસ દરમિયાન શહેરના ત્રણ ઝોન વેસ્ટ, સેન્ટ્રલ અને ઇસ્ટ ઝોનમાંથી કુલ 8901 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જેમાં રેસિડ્યુઅલ ક્લોરિનના કુલ 8577 નમૂના, બેક્ટેરિયોલોજીકલ તપાસ માટે 295 નમૂના અને કેમિકલ એનાલિસિસ માટે 29 નમૂનાનો સમાવેશ થાય છે. આ નમુનાની તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં વેસ્ટ ઝોનમાંથી લેવાયેલા 149 બેક્ટેરિયોલોજીકલ નમૂનાઓમાંથી 5 સ્થળે પાણીમાં બેક્ટેરિયા મળી આવ્યા છે. તેવી જ રીતે સેન્ટ્રલ ઝોનમાં લેવાયેલા 75 નમૂનાઓ પૈકી 2 સ્થળે નમૂના ફેઈલ ગયા છે. આમ, શહેરના કુલ 7 જેટલા સ્થળોએ પાઈપલાઈન મારફતે પહોંચતું પાણી પીવાલાયક નહીં હોવાનું સાબિત થયું છે. મહાપાલિકા દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલા નમૂના રેસિડ્યુઅલ ક્લોરિન નમૂના 8577 બેક્ટેરિયોલોજીકલ નમૂના 295કેમિકલ સેમ્પલ 29કુલ નમૂના 8901વેસ્ટ ઝોન: 149 માંથી 5 નમૂનામાં બેક્ટેરિયા મળ્યા.સેન્ટ્રલ ઝોન: 75 માંથી 2 નમૂનામાં બેક્ટેરિયા મળ્યા. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઉનાળા દરમિયાન પાણીની પાઈપલાઈનમાં લીકેજ અથવા ફિલ્ટર પ્લાન્ટમાં ખામી સર્જાવાથી બેક્ટેરિયાનું પ્રમાણ વધવાની શક્યતા રહે છે. જો ક્લોરિનેશન યોગ્ય માત્રામાં ન કરવામાં આવે તો આ પાણી રોગચાળાનું મુખ્ય કારણ બને છે. રાજકોટ જેવા મહાનગરમાં જ્યાં લાખો લોકો મનપાના પાણી પર નિર્ભર છે, ત્યાં આ પ્રકારની બેદરકારી ગંભીર સ્વાસ્થ્ય કટોકટી સર્જી શકે તેમ છે. હાલમાં જ્યારે 7 સ્થળે બેક્ટેરિયા મળી આવ્યા છે, ત્યારે તંત્રએ યુદ્ધના ધોરણે જે-તે વિસ્તારોની પાઈપલાઈન ચેક કરવી જોઈએ અને ક્લોરિનનું પ્રમાણ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ. સમગ્ર મામલે મહાપાલિકાના વોટર વર્ક્સ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે જે વિસ્તારોમાં નમૂના ફેલ ગયા છે ત્યાં તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે. પાઈપલાઈનમાં જો ક્યાંય ભંગાણ હોય તો તેને રિપેર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, તમામ પમ્પિંગ સ્ટેશનો પર ક્લોરિનેશન પ્રક્રિયા વધુ સઘન બનાવવા સૂચનાઓ આપી દેવામાં આવી છે. રહીશોને પણ અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વિસ્તારમાં ગંદુ પાણી આવતું હોય તો તુરંત મનપાના કંટ્રોલ રૂમમાં જાણ કરવી જેથી તરત પગલાં લઈ શકાય. આગામી અઠવાડિયામાં ફરીથી આ બધા વિસ્તારોમાંથી રિ-સેમ્પલિંગ કરી ફરી પાણીની શુદ્ધતાની ખાતરી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં હાલ ચૂંટણીનો માહોલ છે અને આચારસંહિતા અમલી છે, ત્યારે નાગરિકોનો આરોપ છે કે તંત્ર આ બાબતે ઉદાસીનતા દાખવી રહ્યું છે. અનેક વોર્ડના રહીશો લાંબા સમયથી વાસવાળું અને ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદો કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે મહાનગરપાલિકા હસ્તકના ફિલ્ટર પ્લાન્ટ અને પમ્પિંગ સ્ટેશનોની નિયમિત સફાઈ કરવામાં આવતી નથી, જેના કારણે જળ વિતરણ વ્યવસ્થામાં પ્રદૂષણ ભળે છે. દૂષિત પાણીના વપરાશને કારણે ઝાડા-ઉલ્ટી અને ટાઈફોઈડ જેવા કેસોમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. જોકે ચૂંટણીની આચારસંહિતાનું બહાનું ધરીને મનપા દ્વારા સાપ્તાહિક રોગચાળાના આંકડાઓ જાહેર કરવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે, જેનાથી લોકોમાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 12:54 pm

જૂનાગઢ ભાજપ જિલ્લા પ્રમુખે જાહેરમાં બર્થ ડે ઉજવ્યો, ફટાકડા ફોડ્યા:MLA દેવા માલમની હાજરીમાં જ શિસ્તબદ્ધ પાર્ટીના નેતાએ કાયદાની ઐસીતૈસી કરી દીધી, પોલીસ ગુનો ક્યારે નોંધશે?

જૂનાગઢના કેશોદમાં ગત મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. કેશોદના ભરચક ગણાતા ચાર ચોક વિસ્તારમાં જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન જાહેર રસ્તા પર જ કેક કાપવામાં આવી, ફટાકડાં ફોડ્યા અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતાં. જેના કારણે સામાન્ય જનતામાં અનેક ચર્ચાઓ જાગી છે. આ કાર્યક્રમમાં માત્ર જિલ્લા પ્રમુખ જ નહીં પરંતુ કેશોદના ધારાસભ્ય દેવા માલમ સહિત અનેક ઉમેદવારો અને સ્થાનિક નેતાઓ પણ ઉત્સાહભેર સહભાગી થયા હતા. કેશોદ એસપી બી. સી. ઠક્કર સાથે ભાસ્કરે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, આ મામલે તપાસ કરશું. શિસ્તબદ્ધ ભાજપના નેતાઓ શું બર્થ ડે ઉજવણીમાં કાયદા ભૂલ્યા? સામાન્ય રીતે શિસ્તબદ્ધ ગણાતી ભાજપ પાર્ટીના જવાબદાર હોદ્દેદારો જ્યારે જાહેર માર્ગો પર આ પ્રકારે એકત્રિત થઈને ઉજવણી કરે તો સ્થાનિકોમાં સવાલો ઉભા થયા છે. એક તરફ જ્યારે વહીવટી તંત્ર દ્વારા કડક નિયમોના પાલનની વાતો કરવામાં આવતી હોય છે, ત્યારે સત્તાધારી પક્ષના જ જવાબદાર પ્રતિનિધિઓની હાજરીમાં ફટાકડા ફોડીને જાહેરમાં ધાંધલ-ધમાલ કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ફટાકડાના ગુંજતા અવાજો અને રસ્તા પર લાગેલી ભીડને કારણે મોડી રાત્રે શાંતિનો ભંગ થયો હતો અને કાયદાનું જાહેરમાં ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું. પોલીસ સામાન્ય લોકો પાસે માફી મગાવતા વીડિયો બનાવતી હોય છે​સૌથી મોટો પ્રશ્ન અત્યારે પોલીસ તંત્રની કામગીરી સામે ઉઠી રહ્યો છે. અગાઉ અનેક કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે જ્યારે કોઈ સામાન્ય નાગરિક રસ્તા પર જન્મદિવસની ઉજવણી કરે કે હરકત કરે ત્યારે પોલીસ તુરંત હરકતમાં આવી જતી હોય છે. ઘણીવાર તો પોલીસ આવા સામાન્ય લોકો પાસે માફી મંગાવતા વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરતી હોય છે જેથી સમાજમાં દાખલો બેસાડી શકાય. પોલીસ કાર્યવાહી કરશે કે નહીં તેના પર સૌની નજરપરંતુ અહીં સવાલ એ છે કે શું કાયદો માત્ર સામાન્ય જનતા માટે જ છે? જ્યારે પ્રભાવશાળી નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરીને શું કાયદાની મર્યાદા ઓળંગી?. કેશોદના ચાર ચોકમાં થયેલી આ ઉજવણીના વીડિયો અને ફોટા વાયરલ થયા બાદ હવે લોકો પોલીસના આગામી પગલાની રાહ જોઈ રહ્યા છે. શું પોલીસ આ મામલે તટસ્થ તપાસ કરીને જવાબદારો સામે ગુનો નોંધશે કે પછી રાજકીય દબાણ હેઠળ આ મામલે આંખ આડા કાન કરવામાં આવશે તે જોવાનું રહ્યું. પોલીસ આવા કેસોમાં જાહેરનામાના ભંગ બદલ ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 188 હેઠળ ગુનો નોંધીને કાયદાને અનુસંધાને કામ કરતી હોય છે. પરંતુ શું જૂનાગઢ પોલીસ શિસ્તબદ્ધ ભાજપના નેતાઓ અને બર્થડે ઉજવણીમાં સામેલ લોકો પર કાર્યવાહી કરશે કે નહીં તે જોવાનું રહ્યું. આ પણ વાંચો 1 મહિના પહેલા કારના રૂફ અને બોનેટ પર બેસી ABVPના કાર્યકર્તાઓએ રેલી યોજી 1 મહિના પહેલાં જૂનાગઢ ABVPમાં હોદેદારોની નિયુક્ત થયા બાદ યોજવામાં આવેલી રેલીમાં કાયદાના ધજાગરા ઉડ્યા હોવાનું સામે આવ્યું હતું. જૂનાગઢની ભેંસાણ ચોકડીથી યુનિવર્સિટી સુધી યોજાયેલી રેલીમાં કાર્યકર્તાઓએ કારના બોનેટ અને રૂફ પર બેસી જોખમી રીતે રેલી યોજતા સવાલો ઉઠ્યા હતાં. સોશિયલ મીડીયામાં જે હોદેદારોના વીડિયો વાઈરલ થયા, તેમાં કેટલાક રાજકીય આગેવાનોના સંતાનો હોવાનું પણ જાણવા મળ્યું હતું. (વાંચો સંપૂર્ણ સમાચાર) ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને લઈને પણ તાલુકા પોલીસે કોઈ કાર્યવાહી ન કરી ભીનું સંકેલી લીધું હતું, કારણ કે આ ઘટનામાં પણ જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાનો દીકરો મુખ્ય હોવાની વિગત મળી હતી.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 12:53 pm

નાસિક ધર્માંતરણ પ્રયાસ: વલસાડમાં હિન્દૂ સંગઠનોનો આક્રોશ:બજરંગ દળ સહિતના સંગઠનોએ કલેક્ટરને આવેદન આપ્યું

મહારાષ્ટ્રના નાસિકમાં હિન્દૂ યુવતીઓને નોકરીની લાલચ આપી ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા દબાણ કરાયાની ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા છે. આ મામલે વલસાડ જિલ્લા બજરંગ દળ અને વિવિધ હિન્દૂ સંગઠનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આકરી નિંદા કરી હતી. મળતી માહિતી મુજબ, નાસિકની એક જાણીતી આઈટી કંપની (TCS) માં નોકરી કરતી હિન્દૂ યુવતીઓને નિશાન બનાવી લવ જેહાદના ષડયંત્રમાં ફસાવવાનો પ્રયાસ કરાયો હતો. હિન્દૂ સંગઠનોએ આક્ષેપ કર્યો છે કે યુવતીઓને હિજાબ પહેરવા અને ગૌમાંસ ખાવા દબાણ કરીને તેમનું ધર્માંતરણ કરાવવાની કોશિશ કરવામાં આવી હતી. વલસાડ બજરંગ દળના સંયોજક સમીપ સુરવે જણાવ્યું હતું કે, 'દેશભરમાં હિન્દૂ દીકરીઓને લલચાવી-ફોસલાવીને ધર્માંતરણ કરાવવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. નાસિકની ઘટના અત્યંત નિંદનીય છે.' તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને ઉદ્દેશીને કલેક્ટરને આવેદન આપ્યું હતું કે આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. દુર્ગાવાહિનીના પ્રખંડ સંયોજિકા વિપાસા રાઠોડે પણ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, 'આજની ભણેલી-ગણેલી દીકરીઓને પણ જિહાદીઓ નિશાન બનાવી રહ્યા છે. આ એક 'કોર્પોરેટ જેહાદ' છે.' આવેદનપત્રમાં જણાવાયું છે કે જો આવી ઘટનાઓ અટકશે નહીં તો આગામી દિવસોમાં હિન્દૂ સંગઠનો ઉગ્ર આંદોલન કરશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો 'જય શ્રી રામ'ના નારા સાથે કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા અને આ મામલે તટસ્થ તપાસ કરી જવાબદારોને જેલના સળિયા પાછળ ધકેલવાની માંગ કરી હતી.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 12:48 pm

ગોધરાના રાટા પ્લોટમાં ગાદલાના ગોડાઉનમાં ભીષણ આગ:ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી, કાબૂ મેળવવા પ્રયાસો ચાલુ

ગોધરા શહેરના રાટા પ્લોટ વિસ્તારમાં આવેલી મદની મસ્જિદ નજીક એક ગાદલાના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાઈ ગયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગાદલાના ગોડાઉનમાં રૂ હોવાને કારણે આગે પળવારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જ્વાળાઓ દૂર દૂરથી દેખાઈ રહી હતી.આ ઘટનાની જાણ થતાં જ ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. નગરપાલિકાના બે ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આ ગોડાઉન રહેણાંક વિસ્તારની નજીક આવેલું હોવાથી સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.પ્રાથમિક માહિતી મુજબ, આગ કયા કારણોસર લાગી છે તે અંગેની ચોક્કસ વિગતો હજુ સુધી જાણી શકાઈ નથી. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 12:42 pm

ચૂંટણી આયોગે ઓનલાઈન પોર્ટલ કર્યું કાર્યરત:મતદારો ઘરે બેઠા મેળવી શકશે વોર્ડ-બૂથની માહિતી

રાજ્ય ચૂંટણી આયોગે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી સામાન્ય ચૂંટણી-2026 માટે મતદારોની સુવિધા વધારવા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે તમામ મતદારો મતદારયાદીમાં પોતાનું નામ, ક્રમ, વોર્ડ નંબર અને મતદાન મથક જેવી પાયાની વિગતો ઓનલાઈન મેળવી શકશે. આ ટેકનોલોજીનો ઉપયોગ ચૂંટણી પ્રક્રિયાને વધુ સરળ બનાવશે. મહાનગરપાલિકા, નગરપાલિકા કે પંચાયતની ચૂંટણીઓમાં મતદાન કરવા માટે મતદારનું નામ સ્થાનિક સ્વરાજ્યની મતદારયાદીમાં હોવું ફરજિયાત છે. મતદારોને ઘણીવાર તેમના મતદાન મથક અથવા વોર્ડ અંગે મૂંઝવણ થતી હોય છે. આ સમસ્યા દૂર કરવા આયોગે ઓનલાઈન સર્ચ એન્જિન ઉપલબ્ધ કરાવ્યું છે, જેના દ્વારા મતદાન મથકનું ચોક્કસ લોકેશન પણ જાણી શકાશે. આ સુવિધાનો લાભ લેવા માટે, મતદારોએ રાજ્ય ચૂંટણી આયોગની સત્તાવાર વેબસાઇટ https://secsearch.gujarat.gov.in/search/default.aspx ની મુલાકાત લેવી પડશે. પોર્ટલ પર બે વિકલ્પો ઉપલબ્ધ છે. પ્રથમ વિકલ્પ 'નામ દ્વારા શોધ' છે. જો EPIC નંબર ઉપલબ્ધ ન હોય, તો મતદારો પોતાનું નામ, પિતા કે પતિનું નામ, અટક, જિલ્લો, તાલુકો અને વિસ્તાર પસંદ કરીને માહિતી શોધી શકે છે. બીજો વિકલ્પ 'EPIC નંબર દ્વારા શોધ' છે. મતદાર ઓળખપત્ર પર લખેલો આલ્ફા-ન્યુમેરિક EPIC નંબર દાખલ કરીને સીધી જ વિગતો મેળવી શકાય છે. સર્ચ બટન પર ક્લિક કર્યા પછી, મતદારનું નામ, પિતા/પતિનું નામ, વોર્ડ નંબર, મતદારયાદીનો ભાગ નંબર, ક્રમ નંબર, તેમજ મતદાન મથકનું નામ અને સરનામું સ્ક્રીન પર પ્રદર્શિત થશે. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી જી.એચ. સોલંકીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્રએ મતદારોને આ સુવિધાનો લાભ લેવા અનુરોધ કર્યો છે. મતદાનના દિવસે છેલ્લી ઘડીએ કોઈ મુશ્કેલી ન થાય તે માટે નાગરિકોને અત્યારથી જ આ પોર્ટલ દ્વારા પોતાની વિગતો ચકાસી લેવા વિનંતી કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રએ અપીલ કરી છે કે લોકશાહીના આ પર્વમાં કોઈ પણ લાયક મતદાર મતાધિકારથી વંચિત ન રહે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 12:36 pm

ચારુસેટ RPCPનો 22મો વાર્ષિકોત્સવ ઉજવાયો:ડો. વિરાંચી શાહ અને ભરતભાઈ પટેલ મુખ્ય મહેમાન

ચારુસેટ સંલગ્ન રમણભાઈ પટેલ કોલેજ ઓફ ફાર્મસી (RPCP)નો 22મો વાર્ષિકોત્સવ 15 એપ્રિલ, 2026ના રોજ ચારુસેટ કેમ્પસમાં ઉજવાયો હતો. આ પ્રસંગે સાગા લાઈફ સાયન્સ લિમિટેડના ડિરેક્ટર અને IDMAના નેશનલ સ્પોક્સપર્સન ડો. વિરાંચી શાહ તેમજ ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ ભરતભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં માતૃસંસ્થાના પ્રમુખ કિરણભાઈ પટેલ, માનદ મંત્રી ડો. એમ.સી. પટેલ, ઉપપ્રમુખ અશોકભાઈ પટેલ અને સહમંત્રી મધુબેન પટેલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. ચારુસેટના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલ અને રજિસ્ટ્રાર ડો. બિનિત પટેલે પણ શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રારંભમાં ફેકલ્ટી ઓફ ફાર્મસીના ડીન ડો. સમીર પટેલે ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. RPCPના પ્રિન્સિપાલ ડો. મનન રાવલે સંસ્થાનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. આ અહેવાલમાં અભ્યાસક્રમ, સહ-અભ્યાસક્રમ, અભ્યાસેતર પ્રવૃત્તિઓ તેમજ સંશોધનમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર્સની સિદ્ધિઓ અને સીમાચિહ્નોને આવરી લેવામાં આવ્યા હતા. મુખ્ય મહેમાન ડો. વિરાંચી શાહે યુનિવર્સિટી અને સંસ્થાના વિકાસ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. તેમણે AI અને IOના પરિવર્તનકારી પ્રભાવ, બાયોસિમિલર્સમાં નવીનતાઓ તેમજ વિઝન 2047 માટેના રોડમેપ વિશે સંબોધન કર્યું હતું. તેમણે સ્વસ્થ રાષ્ટ્ર અને વિશ્વ કક્ષાની ઇકોસિસ્ટમ સ્થાપિત કરવામાં ગ્લોબલ કમ્પ્લાયન્સ સેન્ટર (GCC) અને GCC પાર્કની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. અતિથિવિશેષ ભરતભાઈ પટેલે સંસ્થા અને યુનિવર્સિટીના વિકાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે સમાજના આરોગ્ય માટે એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) અને તેમાં ફાર્માસિસ્ટની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં તેમની સિદ્ધિઓ બદલ એવોર્ડ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા, તેમજ ફેકલ્ટી મેમ્બર્સને પણ તેમની સિદ્ધિઓ બદલ સન્માનિત કરાયા હતા. કાર્યક્રમના અંતે બી.ફાર્મના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ ધૈર્ય શાહ અને પંક્તિ પટેલે વિદાય પ્રવચન આપ્યું હતું. વાર્ષિકોત્સવના કો-ઓર્ડીનેટર ડો. નિલય સોલંકી દ્વારા આભારવિધિ સાથે સમારંભનું સમાપન થયું હતું.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 12:32 pm

કોંગ્રેસની રાજ્ય ચૂંટણી આયોગને રજૂઆત:સાંસદ મિતેશ પટેલના ગ્રાન્ટ ન ફાળવવાના નિવેદન મામલે કાર્યવાહી કરવા માંગ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે રાજ્ય ચૂંટણી આયોગને પત્ર લખી મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. આ પત્રમાં કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ભાજપના સાંસદ મિતેશ પટેલ દ્વારા આણંદ જિલ્લામાં યોજાયેલ જાહેર સભામાં આપેલા નિવેદનોથી ચૂંટણી આચારસંહિતાનો ભંગ થયો છે. કોંગ્રેસના પત્ર મુજબ, 20 એપ્રિલે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના એક કાર્યક્રમ દરમિયાન ભાજપના નેતાઓએ મતદારોને પ્રભાવિત કરવા માટે સરકારી સહાય અને ગ્રાન્ટ બાબતે ભ્રામક અને પ્રલોભન આપતા નિવેદનો આપ્યા હતા. કોંગ્રેસે આ નિવેદનને ગંભીર ગણાવી જણાવ્યું છે કે આવી ભાષા ચૂંટણી પ્રક્રિયાને અસર કરે છે અને મતદારો પર અયોગ્ય દબાણ સર્જે છે. તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં માંગપત્રમાં વધુમાં જણાવાયું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રાજ્યમાં આદર્શ આચારસંહિતા અમલમાં છે, છતાં ભાજપના નેતાઓ દ્વારા જાહેરમાં આવા નિવેદનો આપવામાં આવતાં ચૂંટણીની નિષ્પક્ષતા પર પ્રશ્નો ઊભા થાય છે. કોંગ્રેસે રાજ્ય ચૂંટણી આયોગને વિનંતી કરી છે કે આ મામલે તાત્કાલિક તપાસ કરીને જવાબદાર વ્યક્તિઓ સામે કડક પગલાં લેવામાં આવે. ‘મતદારોને ભયભીત કરવા અથવા લોભ આપવાનો પ્રયાસ’કોંગ્રેસે માંગણી કરી છે કે આ પ્રકારના નિવેદનો દ્વારા મતદારોને ભયભીત કરવા અથવા લોભ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે લોકશાહી પ્રક્રિયાને નુકસાન પહોંચાડે છે. અંતે, કોંગ્રેસે ચૂંટણી આયોગને નિષ્પક્ષતા જાળવવા માટે સખત કાર્યવાહી કરવાની અપીલ કરી છે. શું કહ્યું હતું સાંસદે?જાહેર સભામાં સંબોધન કરતાં સાંસદ મિતેશ પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો આંકલાવ વિસ્તારમાં કોંગ્રેસ એકપણ બેઠક જીતશે તો તે વિસ્તારોને ગ્રાન્ટ આપવામાં નહીં આવે. તેમણે વધુમાં જણાવ્યું કે જિલ્લા પંચાયત અથવા તાલુકા પંચાયતની એકપણ બેઠક કોંગ્રેસ જીતશે તો તેઓ એક રૂપિયાની પણ ગ્રાન્ટ મંજૂર નહીં થવા દે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 12:23 pm

પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવશે મોટો ઉછાળો? ક્રૂડ ઓઇલ 100 ડોલરની નજીક, હોર્મુઝમાં તણાવ વધ્યો

(IMAGE - IANS) Global Crude Oil Prices: વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી તણાવપૂર્ણ સ્થિતિના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. હાલમાં ક્રૂડ ઓઇલની કિંમત પ્રતિ બેરલ 100 ડોલરની નજીક પહોંચી ગઈ છે.

ગુજરાત સમાચાર 22 Apr 2026 12:21 pm

વૈષ્ણોદેવી મંદિરમાં ચઢાવાતું 95 ટકા ચાંદી નકલી, તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ પછી હોબાળો

Vaishno Devi Temple Silver Scam: હજારો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન માતા વૈષ્ણોદેવી મંદિરમાંથી એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. માતાજીને ચઢાવવામાં આવતી ચાંદીની વસ્તુઓમાં મોટા પાયે મિલાવટ હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, શ્રદ્ધાળુઓ જે વસ્તુઓને શુદ્ધ ચાંદી સમજીને ચઢાવે છે, તેમાં માત્ર 5-6% જ શુદ્ધ ચાંદી છે. આ ખુલાસાએ માત્ર ભક્તોની આસ્થાને જ ઠેસ નથી પહોંચાડી, પરંતુ તેમના સ્વાસ્થ્ય માટે પણ ગંભીર ખતરો ઊભો કર્યો છે. રૂ.

ગુજરાત સમાચાર 22 Apr 2026 11:53 am

યુએસ-ઈરાન યુદ્ધની અસર: લુફ્થાન્સા એરલાઈન્સે રદ કરી 20,000 ફ્લાઇટ્સ

(IMAGE - IANS) Lufthansa flight Cancellations: ઈરાન સાથેના યુદ્ધના પ્રારંભ બાદ જેટ ફ્યુઅલ એટલે કે વિમાનના ઇંધણના ભાવમાં બમણો વધારો થતાં યુરોપના સૌથી મોટા એરલાઇન ગ્રુપ લુફ્થાન્સા(Lufthansa) એ મોટો કાપ મૂકવાની જાહેરાત કરી છે. કંપનીએ તેના ઉનાળુ શિડ્યુલમાંથી આશરે 20,000 જેટલી ટૂંકા અંતરની ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે.

ગુજરાત સમાચાર 22 Apr 2026 11:45 am

પાટણ વોર્ડ 7: કોંગ્રેસનો 'છત્રી પ્રચાર' શરૂ:આકરી ગરમીમાં ઘરે-ઘરે ફરી મત માંગ્યા; પાણી, ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપ પર પ્રહાર

પાટણ નગરપાલિકા ચૂંટણીના પ્રચારમાં વોર્ડ નંબર 7 માં કોંગ્રેસે છત્રીઓ સાથે પ્રચાર શરૂ કર્યો છે. શહેર કોંગ્રેસની ટીમ અને મહિલા કાર્યકરોએ બુકડી વિસ્તારમાં ઘરે-ઘરે ફરીને ભાજપ શાસનમાં ગંદા પાણીની સમસ્યા અને ભ્રષ્ટાચારને મુખ્ય મુદ્દો બનાવી કોંગ્રેસને વિજયી બનાવવા અપીલ કરી હતી. આગામી 26 એપ્રિલે યોજાનારી પાટણ નગરપાલિકાની ચૂંટણીને લઈ પ્રચાર કાર્ય વેગવંત બન્યું છે. વોર્ડ નંબર 7 માં કોંગ્રેસ પક્ષ દ્વારા મતદારોને રીઝવવા માટે સવારના સમયે આકરા તડકા અને ગરમીથી બચવા માટે નેતાઓ અને કાર્યકરો હાથમાં છત્રીઓ લઈને પ્રચારમાં ઉતર્યા હતા. કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ લાલેશ ઠક્કરે જણાવ્યું હતું કે, ખાસ કરીને પ્રચારમાં જોડાયેલી મહિલા કાર્યકરોને ગરમીમાં હાલાકી ન પડે તે માટે વિશેષ છત્રીઓની વ્યવસ્થા કરવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાનોએ બુકડી વિસ્તારના વિવિધ મહોલ્લાઓમાં જઈ સ્થાનિક રહીશો સાથે સંવાદ સાધ્યો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના નેતાઓએ ભાજપના શાસન પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, પાટણની જનતા પીવાના પાણી સાથે ગટરનું ગંદુ પાણી મિક્સ થવાની સમસ્યાથી લાંબા સમયથી પરેશાન છે. ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરોએ પ્રજાના કામોમાં રસ દાખવવાને બદલે માત્ર કમિશન અને ભ્રષ્ટાચારમાં જ ધ્યાન આપ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે પોતાના શાસનકાળ દરમિયાન અમલી બનેલા 'નગરપાલિકા પ્રજાને દ્વારે' જેવા કાર્યક્રમોને યાદ કરી સેવાકીય શાસનનો વાયદો કર્યો હતો. ચૂંટણી પંચ દ્વારા પ્રચાર માટે આ વખતે ઘણો ઓછો સમય મળ્યો છે. 16 એપ્રિલે ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ બાદ માત્ર 8 દિવસનો સમય મળ્યો હોવા છતાં, કોંગ્રેસ દ્વારા આખા પાટણમાં ઘરે-ઘરે પહોંચવા પ્રયાસો થઈ રહ્યા છે. આકરી ગરમીના કારણે સવારના 9 વાગ્યાથી જ તાપમાન ઉંચુ રહેતું હોવાથી કાર્યકરોની સુરક્ષા માટે છત્રીનો ઉપયોગ કરી આ પ્રચાર હાથ ધરવામાં આવ્યો છે. ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ અને પાયાની સુવિધાઓના મુદ્દે કોંગ્રેસ આ વખતે જનતા પાસે પરિવર્તન માટે મત માંગી રહી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 11:39 am

સુરતમાં પોસ્ટલ બેલેટની પ્રક્રિયાનો પ્રારંભ:પોલીસ હેડક્વાર્ટરમાં જવાનોએ મતદાન કર્યું, 5000થી વધુ કર્મચારીઓ બજાવશે મતાધિકાર

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓના માહોલ વચ્ચે આજે સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે સવારથી જ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે. જે કર્મચારીઓ ચૂંટણીના દિવસે ફરજ પર હોવાને કારણે પોતાના મતદાન મથક પર જઈ શકતા નથી, તેવા પોલીસ કર્મીઓ અને સરકારી અધિકારીઓ માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. સવારના 9 વાગ્યાથી જ કર્મચારીઓ ઉત્સાહપૂર્વક લાઇનમાં ઉભા રહીને પોતાનો પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. 5 હજાર જેટલા કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરશેચૂંટણી પંચના આંકડા મુજબ, સુરત જિલ્લામાં આ વખતે અંદાજે 5 હજાર જેટલા કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરવાના છે. આ યાદીમાં પોલીસ કર્મીઓ, હોમગાર્ડના જવાનો તેમજ અન્ય આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા સરકારી કર્મચારીઓનો સમાવેશ થાય છે. ચૂંટણીના દિવસે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી આ જવાનોના શિરે હોય છે, તેથી તેઓ અગાઉથી જ પોતાનો વોટ આપી શકે તે માટે વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવ્યો છે. પોલીસ હેડક્વાર્ટર ખાતે ચુસ્ત સુરક્ષા અને વ્યવસ્થાસુરત પોલીસ હેડક્વાર્ટરને ખાસ મતદાન કેન્દ્ર તરીકે તૈયાર કરવામાં આવ્યું છે. અહીં મતદાન કરવા આવતા કર્મચારીઓ માટે અલગ-અલગ વિભાગો બનાવવામાં આવ્યા છે જેથી પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બની રહે. હોમગાર્ડ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહીને વ્યવસ્થાનું નિરીક્ષણ કરી રહ્યા છે. સવારે 9 વાગ્યાથી શરૂ થયેલી આ પ્રક્રિયા મોડી સાંજ સુધી ચાલશે. કર્તવ્ય અને અધિકારનો સંગમ આજે પોલીસ હેડક્વાર્ટરના પટાંગણમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. મતદારની એન્ટ્રીથી લઈને બેલેટ પેપર જમા કરાવવા સુધીની હિલચાલ કેમેરામાં કેદમતદાનની ગુપ્તતા જળવાય અને પ્રક્રિયામાં કોઈ ક્ષતિ ન રહી જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ સાવચેતી રાખવામાં આવી રહી છે. મતકુટિર (Voting Compartment) ની બહાર સંપૂર્ણ વિડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. દરેક મતદાર કર્મચારીની એન્ટ્રીથી લઈને બેલેટ પેપર જમા કરાવવા સુધીની તમામ હિલચાલ કેમેરામાં કેદ કરવામાં આવી રહી છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ પણ પ્રક્રિયા પર નજર રાખી શકે તે માટે નિષ્પક્ષ વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે. મતગણતરીના દિવસે પોસ્ટલ બેલેટની સૌથી પહેલા ગણતરીચૂંટણીના નિયમો અનુસાર, જ્યારે મતદાન પૂર્ણ થયા બાદ મતોની ગણતરી હાથ ધરવામાં આવે છે, ત્યારે સૌથી પહેલા પોસ્ટલ બેલેટથી થયેલા મતદાનની ગણતરી કરવામાં આવે છે. આથી જ આ મતો ઘણીવાર બેઠકના પરિણામનો ટ્રેન્ડ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સુરતના 5 હજાર જેટલા મતો જે-તે ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરવામાં નિર્ણાયક સાબિત થઈ શકે છે. તંત્ર દ્વારા આ બેલેટ પેપરને સુરક્ષિત સ્ટ્રોંગ રૂમમાં રાખવાની અને ગણતરીના દિવસે તેને સમયસર પહોંચાડવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 11:37 am

માળીયા નજીક યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા:ધૈર્ય હોટલ પાસે બન્યો બનાવ, ફાયનાન્સ પેઢીની સંડોવણીની શક્યતા

માળીયા (મી) તાલુકામાં હળવદ રોડ પર આવેલી ધૈર્ય હોટલ પાસે એક યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. મૂળ મોરબીના જેતપર ગામના અને હાલ મોરબીના મહેન્દ્રનગર પાસે પ્રભુકૃપા ટાઉનશીપમાં રહેતા અનિલ હરિલાલ કંડિયા (ઉં.વ. 28) નામના યુવાનનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, અનિલ કંડિયા તેના મિત્ર વિવેક વેલજીભાઈ અઘારા (ઉં.વ. 27, રહે. મોરબી) સાથે અણિયારા ટોલનાકા પાસે આવેલી ધૈર્ય હોટલ ખાતે નાસ્તો કરવા ગયો હતો. તે સમયે અજાણ્યા ચાર શખ્સો ત્યાં આવ્યા હતા અને રૂપિયાની લેતીદેતી બાબતે અનિલ સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડા દરમિયાન અનિલને પડખાના ભાગે છરીનો જીવલેણ ઘા મારવામાં આવ્યો હતો. અનિલને બચાવવા વચ્ચે પડેલા તેના મિત્ર વિવેકને પણ છરી વાગતા તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત અનિલને પ્રથમ મોરબી અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ બનાવ હત્યામાં પલટાયો છે. મૃતક અનિલ કંડિયાને અગાઉ જેતપર ગામે કરિયાણાની દુકાન હતી. તે છેલ્લા ઘણા વર્ષોથી તેની માતા રંજનબેન સાથે મોરબીમાં રહેતો હતો. તેના પિતાએ પાંચેક વર્ષ પહેલા ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ હત્યા પાછળ રૂપિયાની લેતીદેતીનો વિવાદ કારણભૂત હોઈ શકે છે અને તપાસનો રેલો મોરબીની કોઈ ફાયનાન્સ પેઢી સુધી પહોંચે તેવી શક્યતા છે. માળીયા તાલુકા પોલીસે આ મામલે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 11:04 am

4 મહિનામાં 31 ટુ-વ્હીલરની ચોરી:નવા નરોડામાં ગોડાઉન મેનેજરે સ્ટોક ગણતરી કરતા જાણ થઈ, ગોડાઉન કે શો-રૂમમાંથી ઉઠાવ્યા એ પણ ખબર નહીં

અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં આવેલા ટુ-વ્હીલરના ગોડાઉનમાંથી 23.25 લાખની કિંમતના 31 નવા ટુ-વ્હીલરની ચોરી થઈ છે. ગઠીયાએ ત્રણ જ મહિનામાં વાહનોની ચોરી કરી હતી. 1 એપ્રિલના રોજ જ્યારે સ્ટોક ગણતરી થઈ ત્યારે વાહનચોરી થઈ હોવાનો ભાંડો ફુટ્યો હતો. જે અંગે નિકોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 31 ટુ-વ્હીલરની ચોરીનવા નરોડા વિસ્તારમાં આવેલા સાગર ટેનામેન્ટમાં રહેતા ધર્મપાલ ચૌહાણે નિકોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસ વિરૂદ્ધ 23.25 લાખના 31 ટુ-વ્હીલરની ચોરીની ફરિયાદ કરી છે. ધર્મપાલ સંયુક્ત પરિવારમાં રહે છે અને નિકોલ વિસ્તારમાં આવેલા અક્ષર આર્કેડની બાજુમાં સિંગલ ઓટો મેટીર પ્રાઈવેટ લીમીટેડના હોન્ડા ટુ-વ્હીલરના શોરૂમમાં ગોડાઉન મેનેજર તરીકે નોકરી કરે છે. ગોડાઉનમાં 1200 ટુ-વ્હીલરનો સ્ટોક હોય છેધર્મપાલ છેલ્લા દસ વર્ષથી નોકરી કરે છે જ્યારે કંપનીનું ગોડાઉન નવા નરોડા ખાતે આવેલા શેલ્બી હોસ્પિટલની પાછળ આવેલુ છે. જેમાં અંદાજીત 1200 ટુ-વ્હીલરનો સ્ટોક હોય છે. 1 જાન્યુઆરી 2026ના રોજ વાહનોના સ્ટોકની ગણતરી કરી હતી જે પરફેક્ટ હતી, ત્યારબાદ 1 એપ્રિલ 2026ના રોજ પણ વાહનોની સ્ટોક ગણતરી થઈ હતી જેમાં કેટલાક ટુ-વ્હીલર ઓછા હતા. 4 મહિનામાં 30 એક્ટિવા અને 1 બાઇકની ચોરીધર્મપાલે ચાર મહિનાના ગાળામાં ટુ-વ્હીલરની આવક જાવકનો હિસાબ બારીકાઈથી કર્યો હતો ત્યારે જાણવા મળ્યું હતુ કે 30 એક્ટિવા અને એક બાઈક ગાયબ હતું. 4 મહિનામાં કોઈ ગઠીયો વિવિધ સમય દરમિયાન 31 વાહનોની ચોરી કરીને જતો રહ્યો હતો. ધર્મપાલે સમગ્ર મામલે શો-રૂમના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી, જેમાં તેમને ફરિયાદ નોંધવાનું કહ્યું હતુ. ધર્મપાલે નિકોલ પોલીસ સ્ટેશનમાં 31 વાહન ચોરીની ફરિયાદ કરી છે જેની કિંમત 23.25 લાખ રૂપિયા થાય છે. ગોડાઉન કે શો-રૂમ, ક્યાં થઈ ચોરી? પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ગોડાઉનમાં કોઈ સીસીટીવી કેમેરા નથી. ધર્મપાલની કંપનીમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે વાહનો ગોડાઉનમાંથી ચોરાયા કે શો-રૂમમાંથી ચોરાયા તે રહસ્ય હજુ સુધી સામે આવ્યુ નથી. હાલ પોલીસે ગુનો નોંધીને તમામ દીશામાં તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 10:58 am

હિંમતનગર નેશનલ હાઈવે પર બે અકસ્માત:ચાર ટ્રક અથડાઈ, એક ચાલકને ઈજા; સાડા ચાર કલાકમાં ઘટના

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક મોતીપુરા પાસેથી પસાર થતા અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર સ્ટારસિટી સામેના ઓવરબ્રિજ પર આજે સવારે સાડા ચાર કલાકના ગાળામાં બે અલગ-અલગ અકસ્માત સર્જાયા હતા. આ ઘટનાઓમાં કુલ ચાર ટ્રક સામેલ હતી અને એક ટ્રક ચાલકને ઈજા થતાં તેને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતથી કપડું ભરીને આગ્રા જઈ રહેલા બે ટ્રક કન્ટેનરમાંથી એક ટ્રક બુધવારે સવારે 4:30 વાગ્યે નેશનલ હાઈવે 48 પર ઓવરબ્રિજ ચઢતી વખતે અમદાવાદ તરફથી આવતા એક ડમ્પરે તેને ખાલી સાઈડથી ટક્કર મારી હતી. ડમ્પર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો, જેના કારણે ટ્રકનું એક ટાયર પંચર થઈ ગયું હતું. આ પંચર થયેલા ટ્રકનું ટાયર બદલવા માટે સવારે 9 વાગ્યાની આસપાસ પાછળ આવતો બીજો ટ્રક કન્ટેનર ટાયર લઈને ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ટાયર બદલવા માટે ટ્રક કન્ટેનર ઓવરબ્રિજ પર એક બાજુ ઊભો હતો. તે જ સમયે, પૂરઝડપે આવી રહેલા અન્ય એક ટ્રક કન્ટેનરે બ્રિજ પર ઊભેલા ટ્રક કન્ટેનરને ટક્કર મારી હતી, જેના કારણે બીજો અકસ્માત સર્જાયો હતો. આ બીજા અકસ્માતમાં ટ્રક ચાલકને ઈજા થઈ હતી. ઊભા રહેલા ટ્રકના ચાલકે ઈજાગ્રસ્ત ચાલકને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. બંને અકસ્માતની જાણ થતાં હાઈવે પેટ્રોલિંગ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તેમણે ઓવરબ્રિજ પર ઊભેલી ત્રણેય ટ્રકને હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી અને પંચર થયેલા ટ્રકને મદદ પૂરી પાડી હતી. હિંમતનગર એ ડિવિઝન પોલીસે પણ આ ઘટના અંગે જાણ થતાં વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 10:55 am

સુરતમાં માતાના પડખામાંથી બાળકીનું અપહરણ:અપહરણ કરીને જતો શખ્સ CCTVમાં દેખાયો, ટ્રેનમાં MP તરફ ભાગી છૂટ્યો, 20 પોલીસ જવાનની ટીમ રવાના

સુરતના કાપોદ્રામાં રવિવારે રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી. નાના વરાછા બ્રિજ નીચે ફૂટપાથ પર માતા સાથે સૂતેલી ત્રણ વર્ષની બાળકીનું એક અજાણ્યો શખ્સ અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા જ કાપોદ્રા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. સીસીટીવીમાં અપહરણકાર બાળકીને લઈ જતો દેખાયો છે અને તે ટ્રેન મારફતે મધ્યપ્રદેશ તરફ ભાગ્યો હોવાના પુરાવા મળતા સુરત પોલીસની અલગ-અલગ ટીમો ઈન્દોર રૂટ તરફ ગઈ છે. માતાની ઊંઘ ઉડી ત્યારે બાળકી ગાયબ હતીદેવભૂમિ દ્વારકાના મીઠાપુર તાલુકાની 30 વર્ષીય યુવતી પતિ સાથે ઝઘડો થતા બે દિવસ પહેલા જ ત્રણ વર્ષની દીકરીને લઈ સુરત આવી હતી. અહીં તે તેના પરિચિત વિક્કી સાથે નાના વરાછા બ્રિજ નીચે શૌચાલય પાસે ફૂટપાથ પર રહેતી હતી. 20 એપ્રિલના રોજ કડિયાકામની મજૂરી કરી થાકેલી માતા રાત્રે 8 વાગ્યાની આસપાસ બાળકી સાથે ભરઊંઘમાં સરી પડી હતી. રાત્રે 1 વાગ્યાના અરસામાં જ્યારે તેની ઊંઘ ઉડી ત્યારે પડખામાં સૂતેલી બાળકી ગાયબ જણાતા તેના હોશ ઉડી ગયા હતા. અપહરણકાર રિક્ષા કરી સીધો રેલવે સ્ટેશન પહોંચ્યોબાળકી ન મળતા તાત્કાલિક કાપોદ્રા પોલીસને જાણ કરી હતી. જેથી પીઆઈ એમ.આર. સોલંકી અને તેમની ટીમે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતા જાણવા મળ્યું કે, એક 30 વર્ષીય શખ્સ રાત્રે 9:30 વાગ્યે બાળકીનું અપહરણ કરી રિક્ષામાં બેસી સુરત રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. સ્ટેશન પર તે રાત્રે 10:10 કલાકે ઉપડેલી દૌન્ડ-ઇન્દોર એક્સપ્રેસ ટ્રેનમાં બેઠો હોવાનું પણ કેમેરામાં કેદ થયું છે. પોલીસે ઈન્દોર સુધી જાળ બિછાવી, 20 જવાનની ટીમ શોધખોળમાંપોલીસે 20થી વધુ જવાનોની અલગ-અલગ ટીમો બનાવી છે. અપહરણકાર ટ્રેનમાં હોવાથી વડોદરા, દાહોદ અને મધ્યપ્રદેશ બોર્ડરના રેલવે સ્ટેશનો તેમજ RPFને એલર્ટ કરી દેવામાં આવી છે. શંકા છે કે આરોપી આ વિસ્તારમાં મજૂરી કરતો હોઈ શકે છે, જેથી ફૂટપાથ પર રહેતા અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂર્વનિયોજિત કાવતરું હોવાની શંકાપોલીસનું માનવું છે કે આ અપહરણ પૂર્વનિયોજિત કાવતરું હતું. આરોપીએ જે રીતે રાત્રે 9:30 વાગ્યે બાળકીને ઉપાડી અને તુરંત જ 10:10 વાગ્યે ટ્રેન પકડી લીધી, તે જોતા તે બાળકી પર નજર રાખી રહ્યો હોય તેમ જણાય છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે આ શખ્સ અગાઉ ક્યારેય આ વિસ્તારમાં જોવા મળ્યો નહોતો. પારિવારિક વિખવાદમાં સુરત આવેલી માતા પર આભ તૂટી પડ્યુંપીડિત મહિલાને ત્રણ દીકરીઓ છે (10, 8 અને 3 વર્ષ). પતિ સાથે અણબનાવ થતા તે નાની દીકરીને લઈને સુરત કામ શોધવા આવી હતી અને હજુ મજૂરી કામ શરૂ કર્યું ત્યાં જ વહાલસોયી દીકરીનું અપહરણ થતાં હાલત કફોડી બની છે. દીકરી સાથે કંઈ અજુગતું ન થાય તેના ડરથી તે સતત પોલીસને પોતાની બાળકી શોધી આપવા વિનવણી કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 10:53 am

જામનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે મતદાન મથકોનું માર્કિંગ શરૂ:100 મીટર વિસ્તારનું મેપિંગ, વહીવટી તંત્ર સતર્ક બન્યું

જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. મતદાન પ્રક્રિયા સુચારુ રીતે સંપન્ન થાય તે માટે વિવિધ તૈયારીઓ તેજ કરવામાં આવી છે. શહેરમાં મતદાન મથકો ઊભા કરવાની પ્રક્રિયા સાથે, દરેક મતદાન મથકની આસપાસના 100 મીટર વિસ્તારનું મેપિંગ અને ગ્રાઉન્ડ માર્કિંગ શરૂ કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગર શહેરના કુલ 16 વોર્ડને આવરી લેવા માટે ચાર અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમોને ચાર-ચાર વોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે. આ ટીમો દ્વારા મતદાન મથકથી 100મીટર સુધીના વિસ્તારમાં માપણી કરીને સફેદ રંગથી માર્કિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રક્રિયા ગઈકાલ રાત્રિથી શરૂ થઈ છે અને સતત ચાલુ છે. આ ઉપરાંત, મતદાન મથકોની આંતરિક સુવિધાઓ અને અન્ય આવશ્યક વ્યવસ્થાઓની તૈયારીઓ પણ સમાંતર રીતે કરવામાં આવી રહી છે. આનો ઉદ્દેશ્ય મતદાનના દિવસે કોઈપણ પ્રકારનો અવરોધ ન સર્જાય તે સુનિશ્ચિત કરવાનો છે. સમગ્ર કામગીરી જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી પી.બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ સંકલિત રીતે આગળ વધી રહી છે. જિલ્લા તંત્ર દ્વારા મતદાનને નિષ્પક્ષ, પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 10:47 am

ભરૂચ પોલીસ હેડક્વોટર્સ ખાતે પોસ્ટલ બેલેટ મતદાન:ચૂંટણી ફરજ પરના સુરક્ષાકર્મીઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો

ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી-2026ને ધ્યાનમાં રાખીને, ભરૂચ પોલીસ હેડક્વોટર્સ ખાતે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. આ વ્યવસ્થા ચૂંટણી ફરજ પર તૈનાત પોલીસ, હોમગાર્ડ અને જીઆરડીના જવાનો માટે કરવામાં આવી હતી, જેથી તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે. આ મતદાન પ્રક્રિયામાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ, જવાનો, હોમગાર્ડ અને ગ્રામ રક્ષા દળ (GRD)ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ શાંતિપૂર્ણ માહોલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન પ્રક્રિયા દરમિયાન તમામ જરૂરી વ્યવસ્થાઓ સુચારૂ રીતે ગોઠવવામાં આવી હતી, જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય. ચૂંટણી ફરજને કારણે મતદાનના દિવસે પોતાના મતદાન કેન્દ્ર પર હાજર રહી શકતા ન હોય તેવા સુરક્ષા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટની આ વ્યવસ્થા લોકશાહીમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરે છે. સુરક્ષાકર્મીઓએ જવાબદારીપૂર્વક મતદાન કરીને લોકશાહી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 10:44 am

કોંગ્રેસે પાલનપુર માટે મેનિફેસ્ટો જાહેર કર્યો:સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં પાયાની સુવિધાઓના વચનો

બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અંતિમ તબક્કા પૂર્વે કોંગ્રેસે પાલનપુર શહેર માટે પોતાનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે આ મેનિફેસ્ટો જાહેર કર્યો હતો, જેમાં શહેરના સર્વાંગી વિકાસ માટે અનેક વચનો આપવામાં આવ્યા છે. આ મેનિફેસ્ટોમાં પાણી, ગટર અને રોડ-રસ્તા જેવી પાયાની સુવિધાઓ સુધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ માટે આધુનિક લાઇબ્રેરી, મોહલ્લા ક્લિનિક્સ અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ જેવા મહત્વના મુદ્દાઓનો પણ સમાવેશ થાય છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, પાલનપુર નગરપાલિકા માટે કોંગ્રેસ પાર્ટીએ જે મેનિફેસ્ટો બહાર પાડ્યો છે, તેમાં પાયાની સુવિધાઓથી વંચિત લોકોને પ્રાથમિકતા આપવામાં આવી છે. હાલમાં ગટર, રોડ અને પાણીના જે પ્રશ્નો છે, તેના કાયમી સમાધાન માટે કોંગ્રેસ પાર્ટીની નગરપાલિકા પ્રતિબદ્ધતાથી કામ કરશે. ગુલાબસિંહ રાજપૂતે વધુમાં જણાવ્યું કે, આરોગ્ય સુવિધાઓ સુધારવા માટે શહેરના 11 વોર્ડમાં 'મોહલ્લા ક્લિનિક' શરૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે આધુનિક લાઇબ્રેરી બનાવવામાં આવશે અને તેમને સારા કોચિંગની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે. દર ત્રણ મહિને દરેક વોર્ડમાં 'લોકસંવાદ' યોજીને પ્રશ્નોનું સ્થળ પર જ નિવારણ લાવવામાં આવશે. લોકોને નગરપાલિકા આવ્યા વિના ઘરે બેઠા ફરિયાદ નોંધાવી શકે તેવી વ્યવસ્થા પણ ઊભી કરાશે. કોંગ્રેસે ભ્રષ્ટાચાર મુક્ત નગરપાલિકા બનાવવાનો પણ સંકલ્પ કર્યો છે. ટેન્ડર પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા લાવવામાં આવશે, જેથી લોકોને ટેન્ડર સંબંધિત તમામ માહિતી સરળતાથી મળી રહે. હાલમાં 'ટકાવારી' વગર કોઈ ટેન્ડર ખુલતા નથી તેવી પ્રવર્તમાન સ્થિતિને બદલીને પારદર્શક અને સારો વહીવટ આપવાનો પ્રયાસ રહેશે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 10:43 am

સુરતના રસ્તા પર દોડતી ‘ભૂતિયા સાયકલ’એ સિટી ગાંડુ કર્યું:ત્રણ મહિનાની મહેનત અને AIના જાદુથી ચાલક વગર પેડલ વાગે છે અને વળાંક પણ લે છે, ટેકનોલોજી જોઈ લોકો દંગ

વિજ્ઞાન અને કલાના અનોખા સંગમથી સુરતના એક યુવા ઇનોવેટરે ફરી એકવાર આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. સોશિયલ મીડિયા પર 'ક્રિએટિવ સાયન્સ' તરીકે જાણીતા શિવમ મૌર્યએ એક એવી સાયકલ બનાવી છે જે ચાલક વગર રસ્તા પર દોડે છે. આ સાયકલને જોતા એવું લાગે છે કે કોઈ અદ્રશ્ય શક્તિ તેને ચલાવી રહી છે, જેના કારણે લોકો તેને 'ઘોસ્ટ સાયકલ' તરીકે ઓળખાવી રહ્યા છે. યુવકની ત્રણ મહિનાની મહેનત અને AIનો જાદુશિવમ મૌર્ય અને તેમના સાથી ગુરપ્રીત અરોડાએ સતત 3 મહિનાની સખત મહેનત બાદ આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત સાયકલ તૈયાર કરી છે. અંદાજે 35 હજાર રૂપિયાના ખર્ચે બનેલી આ સાયકલ માત્ર મનોરંજન માટે નથી, પરંતુ એન્જિનિયરિંગની ઉત્કૃષ્ટતાનો નમૂનો છે. આ સાયકલ રસ્તા પર પોતાની જાતે સંતુલન જાળવે છે અને પૂર્વ-નિર્ધારિત રસ્તા પર કોઈ પણ માનવીય મદદ વગર ચાલે છે. ભૂતિયો અહેસાસ કરાવતું એનિમેટેડ પેડલિંગઆ પ્રોજેક્ટની સૌથી આકર્ષક બાબત તેનું પેડલિંગ મિકેનિઝમ છે. સાયકલમાં માણસના પગ જેવું જ એક સ્ટ્રક્ચર ગોઠવવામાં આવ્યું છે. જ્યારે સાયકલ ચાલે છે ત્યારે તે પગ બિલકુલ કુદરતી રીતે પેડલ મારતા હોય તેવું દેખાય છે. 'બાળકો આ દ્રશ્ય જોઈને થોડા ડરી પણ ગયા હતા'શિવમ જણાવે છે કે, જ્યારે અમે આ સાયકલને રસ્તા પર ટેસ્ટિંગ માટે લઈ ગયા, ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. ખાસ કરીને બાળકો આ દ્રશ્ય જોઈને થોડા ડરી પણ ગયા હતા, કારણ કે સાયકલ પર કોઈ બેઠું નહોતું છતાં પેડલ જાતે ફરી રહ્યા હતા. મોબાઇલ એપ અને રિમોટથી સંચાલન થાય છેઆ 'ઘોસ્ટ સાયકલ' ત્રણ અલગ-અલગ રીતે નિયંત્રિત કરી શકાય છે. તેને સ્માર્ટફોન એપ્લિકેશન દ્વારા ઓપરેટ કરી શકાય છે, રિમોટ કંટ્રોલથી ચલાવી શકાય છે અથવા ચોક્કસ રૂટ માટે કોડિંગ (AI મેપિંગ) કરીને તેને સંપૂર્ણ ઓટોમેટિક મોડ પર મૂકી શકાય છે. તેમાં લગાવેલા સર્કિટ્સ અને સેન્સર્સ તેને રસ્તા પર વળાંક લેવામાં અને અડચણો ઓળખવામાં મદદ કરે છે. કોણ છે ઇનોવેટર શિવમ મૌર્ય?શિવમ મૌર્ય ડિજિટલ દુનિયામાં જાણીતું નામ છે. તેમની યુટ્યુબ ચેનલ 'Creative Science' પર 20 લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ છે. આ પહેલા પણ તેઓ ડ્રાઈવર વગરની 'ગરુડા AI બાઇક' બનાવીને રાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મેળવી ચૂક્યા છે. શિવમના મતે, આ ટેકનોલોજીનો ઉપયોગ ભવિષ્યમાં કોન્ટેક્ટલેસ ડિલિવરી, મોટા કેમ્પસમાં સિક્યુરિટી પેટ્રોલિંગ અને પ્રદૂષણ મુક્ત સ્માર્ટ ટ્રાન્સપોર્ટેશન માટે કરી શકાય તેમ છે. દસ વર્ષથી અલગ-અલગ ઇનોવેશન પર કામઆ પ્રયોગ પાછળની ક્રિએટિવ સાયન્સ સંસ્થા આઠથી દસ વર્ષથી અલગ-અલગ ઇનોવેશન પર કામ કરી રહી છે. ડ્રાઇવરલેસ બાઇક, એક ટાયર સ્કૂટર, રોબોટ રિક્ષા અને કેપ્સ્યુલ કાર જેવા પ્રોજેક્ટ અગાઉ રજૂ થઈ ચૂક્યા છે. સુરતમાં નવીન શોધોની શ્રેણી યથાવતસુરત શહેરમાં આવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ લોકોમાં ટેક્નોલોજી પ્રત્યે રસ વધારી રહી છે અને યુવાનોને નવી દિશા તરફ પ્રેરણા આપી રહી છે. આવા પ્રયોગો માત્ર પ્રદર્શન પૂરતા નહીં રહેતા. ભવિષ્યમાં શહેરના ટ્રાન્સપોર્ટ અને સ્માર્ટ સિટી વિકાસ માટે માર્ગદર્શક સાબિત થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 10:35 am

મેમનગરના સામ્રાજ્ય ફ્લેટના પાર્કિંગમાંથી મૃતદેહ મળ્યો:વૃદ્ધની હત્યા, આત્મહત્યા કે આકસ્મિક મોત?, પોલીસ તપાસ શરૂ

અમદાવાદના મેમનગરના સામ્રાજ્ય ફ્લેટના H બ્લોકના પાર્કિંગમાંથી કાનજીભાઈ નામના વૃદ્ધનો મૃતદેહ મળ્યો છે. તેઓ છૂટક મજૂરી કામ કરીને કોમન પાર્કિંગમાં જ રહેતા હતા. પોલીસે હત્યાની આશંકાએ વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 10:23 am

મહેસાણાના 14 ગામના ખેડૂતોનું આંદોલન સફળતાના સોપાન પર પહોંચ્યું:CM સાથે બેઠકમાં 80 મીટર રોડ રદ કરવાની ખાતરી, આંદોલન ચાલુ કે બંધ રાખવા પર ખેડૂતો વિચારણા કરશે

મહેસાણામાં છેલ્લા ઘણા સમયથી 80 મીટરના રિંગ રોડ અને ટીપી-ડીપી સ્કીમના વિરોધમાં 14 ગામના ખેડૂતોનું આંદોલન સફળતાના સોપાન પર પહોંચ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ખેડૂત સમિતિના આગેવાનો વચ્ચે મળેલી બેઠકમાં ખેડૂતોની રજૂઆતોને સકારાત્મક પ્રતિસાદ મળતા આંદોલનકારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. મુખ્યમંત્રીએ ખેડૂતોની મુખ્ય માંગણીઓને સ્વીકારી લેતા કુકસ ગામે મળેલી સભા બાદ આંદોલન ચાલુ કે બંધ રાખવા વિચારણા કરવામાં આવશે. 80 મીટરના રિંગ રોડના મુસદ્દાને રદ કરવાની ખાતરીબેઠકની વિગતો મુજબ મુખ્યમંત્રીએ ખેડૂતોની સૌથી મોટી માંગ એવા 80 મીટરના રિંગ રોડના મુસદ્દાને રદ કરવાની ખાતરી આપી છે. આ ઉપરાંત અગાઉ જે ઇન્ડસ્ટ્રીયલ અને ગ્રીન ઝોન જાહેર કરવામાં આવ્યા હતા, તેને પણ રદ કરીને ફરીથી એગ્રીકલ્ચર ઝોનમાં સમાવી લેવાનો નિર્ણય લેવાયો છે. ખેડૂતોની જમીન ન કપાય તે માટે સરકારે આ રસ્તો કર્યોનવી ટીપી સ્કીમની રચનામાં ખેડૂત સમિતિને સાથે રાખવાની પણ ખાતરી સરકાર દ્વારા આપવામાં આવી છે. ખાસ કરીને ખેડૂતોની જમીન ન કપાય તે માટે એક વચલો રસ્તો કાઢવામાં આવ્યો છે, જેમાં નવી જમીન સંપાદિત કરવાના બદલે ગામડાંના જૂના રસ્તાઓ અને પ્રધાનમંત્રી સડક યોજનાના હાલના માર્ગોને પહોળા કરીને ટીપીમાં સમાવી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. 'જરૂર પડ્યે ફરી આંદોલન માટે પણ તૈયારી'ખેડૂત સમિતિના આગેવાન રતિલાલ પટેલે જણાવ્યું હતું કે, સરકાર સાથેની આ વાટાઘાટોમાં ખેડૂતોને પ્રથમ મોટી જીત મળી છે. મુખ્યમંત્રીએ ખેડૂતોના હિતમાં સકારાત્મક વલણ દાખવીને જમીન બચાવવા માટેનો મહત્વનો નિર્ણય લીધો છે. જોકે આ આંદોલન માત્ર શરૂઆત છે. આગામી સમયમાં મહાનગરપાલિકા દ્વારા લાદવામાં આવતા ટેક્સ અને અન્ય પ્રશ્નો અંગે સમિતિ પોતાની કાયદેસરની લડત ચાલુ રાખશે અને જરૂર પડ્યે ફરી આંદોલન માટે પણ તૈયારી રાખશે. શું ખેડૂતો ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કરશે?ચૂંટણી બહિષ્કારના મુદ્દે સમિતિએ કોઈ સામૂહિક આદેશ થોપવાના બદલે લોકશાહી ઢબે નિર્ણય લેવાનું પસંદ કર્યું છે. સમિતિના જણાવ્યા અનુસાર ચૂંટણીના બહિષ્કાર અંગેનો અંતિમ નિર્ણય જે-તે ગામ પર છોડવામાં આવ્યો છે. 14 ગામના ખેડૂતો પોતપોતાના ગામમાં સભા યોજીને ચૂંટણી બહિષ્કાર કરવો કે નહીં તે અંગેનો સ્વતંત્ર નિર્ણય લેશે. આમ આંદોલન સ્થગિત હોવા છતાં ખેડૂતોના અન્ય સ્થાનિક પ્રશ્નો અંગેની લડત યથાવત રહેશે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 9:51 am

પાટણના સબોસણ રોડ પર બાઇક અને એક્ટિવાનો અકસ્માત:આધેડનું મોત અને બે વ્યક્તિઓને ઇજાઓ પહોંચી, મૃતકના પુત્રે ફરિયાદ નોંધાવી

પાટણના કુણઘેરથી સબોસણ જતા માર્ગ પર બાઇક અને એક્ટિવા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક આધેડનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઇજાઓ પહોંચી છે. પાટણ તાલુકા પોલીસે મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માત સવારે લગભગ 11:30 વાગ્યાના અરસામાં કુણઘેરથી આશરે 2 કિલોમીટર દૂર સબોસણ રોડ પર બન્યો હતો. પાટણના મોતીસા દરવાજા પાસે આવેલી સતકેવલ સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ કાંતિભાઈ પટણી અને તેમના પત્ની જ્યોત્સનાબેન પોતાનું એક્ટિવા (GJ-24-Q-3449) લઈને જઈ રહ્યા હતા. તે સમયે સામેથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવતી એક મોટરસાયકલ (GJ-24-AK-7772) ના ચાલકે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે એક્ટિવા પર સવાર દંપતી રોડની બાજુમાં ફેંકાઈ ગયું હતું. અકસ્માત બાદ પ્રકાશભાઈને માથા અને કપાળના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી, જ્યારે તેમના પત્ની જ્યોત્સનાબેનને પણ માથા અને શરીરના અન્ય ભાગોમાં ઇજાઓ થતાં તેઓ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન પ્રકાશભાઈ કાંતિભાઈ પટણીનું મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલકને પણ ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. મૃતકના પુત્ર વિશાલભાઈ પટણીની ફરિયાદના આધારે, પાટણ તાલુકા પોલીસે મોટરસાયકલ (GJ-24-AK-7772) ના ચાલક વિરુદ્ધ B.N.S.S. ની કલમ 281, 106(1), 125(a), 125(b) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177 અને 184 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર લાલસંગજી બાબુજી દરબાર આ કેસની વધુ તપાસ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 9:33 am

ઉત્તર પ્રદેશના 1008 ભક્તો વેરાવળ પહોંચ્યા:સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત વિશેષ ટ્રેન દ્વારા આગમન

સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ઉત્તર પ્રદેશના 1008 ભક્તો વિશેષ ટ્રેન દ્વારા વેરાવળ રેલવે સ્ટેશને પહોંચ્યા હતા. તેમનું ઢોલ-નગારા અને ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક પહેરવેશમાં સજ્જ યુવક-યુવતીઓએ મહેમાનોનું અભિવાદન કર્યું હતું. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર થયેલા આક્રમણોને 1000 વર્ષ પૂર્ણ થયા છે. આસ્થાનું પ્રતીક એવું આ મંદિર આજે પણ અડીખમ ઊભું છે. આ ઐતિહાસિક પ્રસંગની ઉજવણી રૂપે 'સોમનાથ સ્વાભિમાન પર્વ'નું આયોજન કરવામાં આવ્યું છે. લખનઉથી આવેલા આ યાત્રિકો ૨૧મી એપ્રિલે વહેલી સવારે વેરાવળ પહોંચ્યા હતા અને ત્યાંથી સોમનાથ જવા રવાના થયા હતા. આગામી ત્રણ દિવસ સુધી તેઓ સોમનાથ મંદિર, તેની આસપાસના મંદિરો અને આપણી સાંસ્કૃતિક ધરોહર વિશેની વિસ્તૃત માહિતી મેળવશે. આ ઉપરાંત, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નિહાળશે. સ્વાભિમાન પર્વની ઉજવણીના ભાગરૂપે, દિલ્હીથી પણ એક વિશેષ ટ્રેન 30 એપ્રિલે સોમનાથ આવવા નીકળશે. ત્યારબાદ મે મહિનામાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી, જ્યારે જૂન મહિનામાં હરિયાણાથી ટ્રેનો આવશે. આ યાત્રિકો સોમનાથ મહાદેવના દર્શન કરી, પ્રાચીન સ્થળો, ગુફાઓ અને ગીર સોમનાથ-વેરાવળના વિવિધ મંદિરોની મુલાકાત લઈ ધન્યતા અનુભવશે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 9:26 am

ZFTI અને વેપારી એસોસિએશને કલેક્ટર સોલંકીની મુલાકાત લીધી:જિલ્લાના વિકાસ, વેપાર વૃદ્ધિ અને રોજગાર સર્જન પર ચર્ચા

સુરેન્દ્રનગર: ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (ZFTI) અને બિલ્ડર એસોસિએશનના હોદ્દેદારોએ કલેક્ટર જી.એચ. સોલંકીની શુભેચ્છા મુલાકાત લીધી. આ મુલાકાતમાં ZFTIના સ્થાપક અધ્યક્ષ કિશોરસિંહ ઝાલા, સ્થાપક પ્રમુખ કમલેશભાઈ રાવલ, ચેરમેન ઘનશ્યામભાઈ સાવધરિયા, પ્રમુખ નરેશભાઈ કેલા, સેક્રેટરી કેકીન ગણાત્રા, લીગલ સેલ ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, ટ્રેડ સેલ ચેરમેન બાબુલાલ પ્રજાપતિ, પ્રોફેશનલ સેલ ચેરમેન સંજયભાઈ, ચીફ એડમિન અશ્વિનભાઈ પારેખ અને બિલ્ડર એસોસિએશનના પ્રમુખ કે. સી. શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.મુલાકાત દરમિયાન, ઝાલાવાડ ફેડરેશનના પ્રમુખ નરેશભાઈ કેલાએ જિલ્લાની માળખાકીય સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી. તેમણે જણાવ્યું કે જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ માટે વિશાળ તકો ઉપલબ્ધ છે. આ બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ, વેપાર વૃદ્ધિ, રોજગાર સર્જન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર રચનાત્મક ચર્ચા કરવામાં આવી હતી.ઝાલાવાડ ફેડરેશને જિલ્લાના સર્વાંગી વિકાસમાં સક્રિય સહકાર આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. તેમણે જિલ્લાના આર્થિક અને સામાજિક ઉત્થાન માટેના વિવિધ પાસાઓ પર ભાર મૂક્યો. કલેક્ટર સોલંકીએ ઝાલાવાડ ફેડરેશનના પ્રયત્નોને બિરદાવ્યા હતા અને જિલ્લા વહીવટીતંત્ર તરફથી સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી. તેમણે ઉદ્યોગ અને વેપાર જગત સાથે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી.આ મુલાકાત જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સહકાર અને સંકલનના નવા અધ્યાયની શરૂઆતરૂપ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 9:23 am

કિશનવાડીમાં પ્રચાર દરમિયાન ભાજપના નેતાએ યુવક સાથે ઝપાઝપી કરી:'એ શાંતિ રાખજે' કહીને ધક્કો માર્યો, સ્થાનિકે કહ્યું, 'બે પૈસાના લુખ્ખાને બહુ ચરબી છે'

વડોદરામાં મહાનગરપાલિકાના ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપને ભારે રોષનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન પૂર્વ કોર્પોરેટર હિતેન્દ્ર પટેલ સહિતના નેતાઓ વોર્ડ નં. 5 કિશનવાડી વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં ગયા હતા. આ સમયે એક યુવકે તેની સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. જેથી ભાજપના નેતાએ યુવક સાથે મારે મારી કરી હતી.'એ શાંતિ રાખજે' કહીને ધક્કો મારી ઝપાઝપી કરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં લોકો બોલે છે, બે પૈસાના લુખ્ખાને બહુ ચરબી છે. નેતાએ યુવકને ધક્કો મારી દીધો, ઝપાઝપી કરી વોર્ડ નં. 5માં કિશનવાડી વિસ્તારમાં પ્રચાર દરમિયાન એક યુવકે ભાજપના પૂર્વ કોર્પોરેટર હિતેન્દ્ર પટેલને કહ્યું હતું કે, અમે ગમે તે પક્ષમાંથી લડીએ. અમે આટલા વર્ષોથી ભાજપને સપોર્ટ કરતા આવ્યા હતા અને તમારા માટે લડ્યા હતા. આપણે એક પરિવાર છીએ. પણ તમે મને શું કહ્યું કે, મારી પત્નીએ આપમાંથી ફોર્મ કેમ ભર્યું ? આ દરમિયાન ભાજપના નેતા યોગેશ પરમાર યુવક સામે ઉશ્કેરાઈ ગયા હતા અને યોગેશ પરમારે કહ્યું હતું કે, એ શાંતિ રાખજે અને યુવકને ધક્કો મારી દીધો હતો. ત્યારબાદ ઝપાઝપી થઈ હતી અને ત્યારબાદ અન્ય લોકો વચ્ચે પડ્યા હતા. 'અમારી પાસે પેલા લુખ્ખાને લઈને આવ્યા છે'આ દરમિયાન કેટલાક લોકો વિડિઓમાં બોલે છે કે, અમારી પાસે પેલા લુખ્ખાને લઈને આવ્યા છે. બે પૈસાના લુખ્ખાને બહુ ચરબી છે. આ સમયે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. એક મહિલા પણ નેતાઓ સામે આક્રોશ વ્યક્ત કરતી જોવા મળી હતી. જેને પગલે નેતાઓએ ત્યાંથી ચાલતી પકડી હતી. ભાજપના ઉમેદવારો પર લોકોનો રોષઆ પહેલા પણ ઘણા બધા વોર્ડમાં આ પ્રકારે ભાજપના ઉમેદવારો અને નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જેથી કહી શકાય કે આ વખતે ચૂંટણીમાં એન્ટી ઇન્કમબન્સીની અસર જોવા મળી રહે છે. ક્યાં ટિકિટને લઈને તો ક્યાંક કામગીરી ન થતા ઉમેદવારોએ રોષનો ભોગ બનવુ પડી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 9:15 am

હિંમતનગરમાં જુગાર રમતા 8 શખ્સો ઝડપાયા:LCBએ RTO નજીક પાર્ટી પ્લોટ પાછળ ઝાડીમાં રેડ પાડી, ₹3.06 લાખનો મુદ્દામાલ કબજે કર્યો,

સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડી જુગાર રમતા 8 શખસોને ઝડપી પાડ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ, વાહનો અને મોબાઈલ ફોન સહિત કુલ 3,06,950 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે કાર્યવાહીસાબરકાંઠા LCBના PI ડી.સી. સાકરિયાના જણાવ્યા અનુસાર, પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ક્રાઈમ ડ્રાઈવ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, હિંમતનગર RTO નજીક આવેલા રોયલ પાર્ટી પ્લોટ પાછળ બાવળની ઝાડીઓમાં કેટલાક શખસો ગંજીપાના વડે જુગાર રમી રહ્યા છે. આ માહિતીના આધારે LCBની ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા 8 શખસોને રંગેહાથ ઝડપી લીધા હતા. જપ્ત કરાયેલો મુદ્દામાલ રોકડ રકમ (દાવ પરથી): 3,200 રોકડ રકમ (અંગઝડતી): 13,750 મોબાઈલ ફોન (8 નંગ): 40,000 વાહનો (5 નંગ): 2,50,000 કુલ મુદ્દામાલ: 3,06,950 ઝડપાયેલા શખસોની યાદી પોલીસે પકડાયેલા તમામ શખસો વિરુદ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. 8 શખસ ઝડપાયા છે: અલ્તાફ કાલુમીયા મલેક - રહે. અંબર સિનેમા રોડ, પોલોગ્રાઉન્ડ, હિંમતનગર. સાહિલ સીરાજભાઇ શેખ - રહે. અજમેરી પાર્ક, પરબડા, હિંમતનગર. સમીર સીરાજભાઇ શેખ - રહે. અજમેરી પાર્ક, પરબડા, હિંમતનગર. રહેમાન અકબરઅલી દીવાન - રહે. પરબડા, તા. હિંમતનગર. રમીજ મહોમદરફીક શેખ - રહે. આસીયાના સોસાયટી, પોલોગ્રાઉન્ડ, હિંમતનગર. સાહનવાજ સીરાજુદ્દીન શેખ - રહે. ચાંદનગર, હિંમતનગર. સોહીલસા હાસમસા દિવાન - રહે. પરબડા, તા. હિંમતનગર. સાહિલ સાકીરભાઈ મકરાણી - રહે. ચીસ્તીયાનગર, પરબડા, હિંમતનગર.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 8:42 am

ગોધરા AAP ઉમેદવાર પર 50 લાખ હવાલાનો આરોપ:અજય વસંતાએ રાજકીય ષડયંત્રનો આરોપ લગાવ્યો, ગોધરા 'એ' ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી

ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 11ના આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર અજય વસંતાની સામે આંગડિયા હવાલા મારફતે 50 લાખથી વધુની રકમની ગેરકાયદે હેરાફેરીનો ગંભીર આરોપ લાગતા ચકચાર મચી છે. આ મામલે ગોધરા SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલો શું છે?પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉમેદવાર અજય વસંતાની, પક્ષના સક્રિય કાર્યકર્તા રમણ બારીયા અને દર્શિત સોનીએ અન્ય મળતીયાઓ સાથે મળી છેલ્લા 15 દિવસમાં ગોધરાની 'પી.એમ. આંગડિયા' અને 'વી. પટેલ આંગડિયા' પેઢીઓ મારફતે અંદાજે 50 લાખથી વધુના હવાલા પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં એવી શંકા સેવાઈ રહી છે કે આ નાણાંનો ઉપયોગ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોને લોભ-લાલચ અને પ્રલોભન આપવા માટે કરવામાં આવ્યો હતો. રાજ્યવ્યાપી કૌભાંડની શંકાઆ નાણાકીય હેરાફેરીના તાર ગુજરાતના અન્ય જિલ્લાઓ સાથે પણ જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે. આ પ્રકરણમાં અન્ય જિલ્લાના વ્યક્તિઓની સંડોવણી હોવાની શક્યતાને પગલે ગોધરા શહેર 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ હાલ આંગડિયા પેઢીઓના રેકોર્ડ અને નાણાકીય વ્યવહારોની ઝીણવટભરી તપાસ કરી રહી છે. રાજકીય ષડયંત્રનો વળતો દાવોબીજી તરફ, આક્ષેપો અંગે પ્રતિક્રિયા આપતા AAP ઉમેદવાર અજય વસંતાનીએ જણાવ્યું હતું કે, આ તમામ આરોપો પાયાવિહોણા અને રાજકીય રીતે પ્રેરિત છે. તેમણે દાવો કર્યો હતો કે ચૂંટણી સમયે તેમની છબી ખરડવા માટે આ પ્રકારના ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને આમાં કોઈ સત્યતા નથી. ચૂંટણી પૂર્વે જ આટલી મોટી રકમની હેરાફેરીનો મામલો સામે આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 8:34 am

પાલિકા-પંચાયતના ચૂંટણી પ્રચાર તેજ બન્યો:માંડવિયા-રૂપાલા આજે સુરતમાં સભા ગજવશે, રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહિલા સંમેલન

પાલિકા-પંચાયતની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થવાને હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે. રાજકીય પક્ષો મતદારોને રિઝવવા માટે કોઈ કચાશ રાખવા માગતા ન હોય તે રીતે પ્રચારમાં તેજી આવી છે. પ્રચાર દરમિયાન અનેક જગ્યાએ નેતાઓ ભાન પણ ભૂલી રહ્યા છે અને વિવાદો સર્જાઈ રહ્યા છે. આજે સુરતમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા સુરતમાં સભા ગજવશે. તો રાજકોટમાં ફરી એકવાર ક્ષત્રિય આંદોલનની યાદો તાજી થવાની સંભાવના છે. ક્ષત્રિય આંદોલન સમયે મહત્વની ભૂમિકામાં રહેતા ભાર્ગવીબા ગોહિલ વોર્ડ નંબર 10માંથી કોંગ્રેસના ઉમેદવાર હોય તેના સમર્થનમાં ક્ષત્રિય સમાજનું મહિલા સંમેલન યોજાશે. CM ભૂપેન્દ્ર પટેલ બોટાદ અને ભાવનગરમાં પ્રચાર કરશેમુખ્યમંત્રી આજે બોટાદ અને ભાવનગર જિલ્લાના અલગ અલગ ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપશે. બોટાદ જિલ્લાની મુલાકાત દરમિયાન સાળંગપુર હનુમાનજી મંદિર અને BAPS સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરશે. જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભુજમાં રોડ શો યોજશે. માંડવીયા અને રૂપાલા સુરતમાં સભા ગજવશેપાલિકા-પંચાયતની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થવાને હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા સુરતના પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં પ્રચારની ધૂરા સંભાળશે. માંડવીયા મોટા વરાછાના શિવધારા ચોકમાં સભા સંબોધશે. જ્યારે રૂપાલા ધરમનગર રોડ સ્થિતિ જલક્રાંતિ મેદાનમાં બે અલગ અલગ સભા સંબોધશે. રાજકોટમાં આજે ક્ષત્રિય સમાજનું મહિલા સંમેલનરાજકોટના વોર્ડ નંબર 10માં આજે સાંજે 6 વાગ્યે ક્ષત્રિય સમાજનું મહિલા સંમેલન યોજાશે. ક્ષત્રિય આંદોલન સમયે મહત્વની ભૂમિકા માં રહેલા ભાર્ગવીબા ગોહિલ વોર્ડ નંબર. 10 ના કોંગ્રેસના ઉમેદવાર છે.. કોંગ્રેસના ઉમેદવાર ભાર્ગવીબા ગોહિલને જીતાડવા માટે આવતીકાલે તૃપ્તિબા રાઓલ સહિતના ક્ષત્રિય મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 7:00 am

પહેલગામ હુમલાનું એક વર્ષ, ભાવનગરનો પરમાર પરિવાર આજે પણ આઘાતમાં:પતિ અને જુવાનજોધ પુત્ર ગુમાવનાર કિરણબેને કહ્યું- 'સરકારે આર્થિક સહાય કરી, નાના દીકરાને નોકરી આપવાનું વચન અધૂરું'

પહેલગામ હુમલાની આતંકી ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. દેશભરમાં હાહાકાર મચાવતીઆ આતંકી ઘટનામાં 26 નિર્દોષ લોકોના જીવ ગયા હતા. જેમાં બે લોકો ભાવનગરના હતા. ભાવનગરથી પરિવાર સાથે ફરવા ગયેલા યતીશ પરમાર અને તેના પુત્ર સ્મિત પરમારનું આતંકી હુમલામાં મોત થયું હતું. હુમલાની પ્રથમ વરસી આવતા જ ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં રહેતા પરિવારના જખમો તાજા થયા છે.ઘટનાના એક વર્ષ બાદ પણ પરિવારના સભ્યો માનસિક આઘાતમાંથી બહાર આવ્યા નથી. પોતાની નજર સામે જ પતિ અને પુત્રને ગુમાવનાર કિરણબેનની તબિયત લથડતા સારવાર માટે ખસેડવા પડ્યા હતા. કિરણબેને ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઘટના બાદ સરકારે આર્થિક સહાય કરી છે. પરંતુ, પરિવારના સભ્યને સરકારી નોકરી આપવાનું જે વચન આપ્યું હતું તે હજી અધૂરું છે. કિરણબેને વધુમાં જણાવ્યું કે,મારે એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને મળીને આભાર માનવો છે કે તેમણે મારા પરિવારના હત્યારાઓને સજા આપી'. 'સમય વીતી ગયો પણ અમારી જિંદગીમાં આવેલો ખાલીપો ક્યારેય ભરાશે નહીં'22 એપ્રિલ, 2025. પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોના જીવ ગયા હતા. જેમાં ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં રહેતા યતીશ પરમાર અને તેના પુત્ર સ્મિત પરમાર પણ હતા. આતંકી હુમલાની આજે પ્રથમ વરસી છે ત્યારે એક વર્ષ પહેલાની ઘટનાને યાદ કરી પરિવારજનોની આંખો ભરાઈ આવે છે. પતિ અને પુત્રને ગુમાવનાર મહિલાએ રડતા રડતા કહ્યું હતું કે, સમય વીતી ગયો છે, પણ અમારી જિંદગીમાં આવેલો ખાલીપો ક્યારેય ભરાશે નહીં. જૂની યાદો તાજી થતા કિરણબેનની તબિયત લથડી​આ અંગે દિવ્ય ભાસ્કર માતા કિરણબેન સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે,પતિ અને પુત્રના મૃત્યુનો આઘાત તેમના મગજમાંથી જતો નથી. આ માનસિક તણાવને કારણે તેમને વારંવાર છાતીમાં દુખાવો અને બેભાન થઈ જવા જેવી સમસ્યાઓ થાય છે. તાજેતરમાં જ તેમને કાળિયાબીડ સ્થિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ જેમ-જેમ આ ઘટનાનું વર્ષ પૂરું થવા આવ્યું છે, તેમ-તેમ જૂની યાદો તાજી થતા તેમની હાલત વધુ બગડી રહી છે.​ 'સરકારે આર્થિક સહાય કરી પણ પરિવારના સભ્યને સરકારી નોકરી આપવાનો વાયદો અધૂરો'​​ઘટના સમયે અનેક મોટા નેતાઓ અને પદાધિકારીઓએ પરિવારની મુલાકાત લીધી હતી, તે સમયે આશ્વાસન આપવામાં આવ્યું હતું કે, પરિવારને આર્થિક સહાય અને ઘરના સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે.કિરણબેને જણાવ્યું કે, ​સરકારે અમને 10 લાખ રૂપિયાની આર્થિક મદદ કરી છે, જે બદલ અમે આભારી છીએ.પરંતુ, તે સમયે મને અને મારા દીકરાને સરકારી નોકરી આપવાનું વચન આપવામાં આવ્યું હતું. મેં ઘણી દોડાદોડ કરી, પણ હજી સુધી નોકરી બાબતે કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી, મારો નાનો દીકરો અત્યારે લેબ ટેકનિશિયનનો અભ્યાસ કરી રહ્યો છે, જો તેને નાની એવી નોકરી મળી જાય તો અમારું જીવન સુધરી જાય. મહિલાએ સરકારનો આભાર માનવા વડાપ્રધાનને મળવાની ઈચ્છા વ્યકત કરી​ભીની આંખે માતાએ પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, તેમની એક ઈચ્છા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની છે તેઓ વડાપ્રધાનનો આભાર માનવા માંગે છે, કારણ કે આતંકી હુમલા બાદ 'ઓપરેશન સિંદૂર' દ્વારા જવાબદાર આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી સરકારે ન્યાય અપાવ્યો હતો. કિરણબેને કહ્યું- 'સાંસદ હંમેશા ફોન કરી ખબરઅંતર પૂછતા રહે છે'​હાલમાં કિરણબેન અને તેમનો પુત્ર તેમના દિયર (પતિના નાના ભાઈ) સાથે રહી રહ્યા છે, પરિવારના અન્ય સભ્યો, ખાસ કરીને વૃદ્ધ સાસુ-સસરા પણ પુત્ર અને પૌત્રના નિધનથી ઊંડા આઘાતમાં છે. રાજકીય સહકાર અંગે વાત કરતા મહિલાએ જણાવ્યું કે, નીમુબેન બાંભણિયા અને ભાજપના અન્ય નેતાઓ ફોન દ્વારા સતત સંપર્કમાં રહે છે અને ખબર-અંતર પૂછે છે, જેનો અમને મોટો આધાર છે. પહેલગામ આતંકી હુમલામાં કૂલ ત્રણ ગુજરાતીઓના મોત નિપજ્યા હતાએક વર્ષ પહેલા પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં કૂલ 26 લોકોના મોત નિપજ્યા હતા. જેમાં ભાવનગરના યતીશ પરમાર અને તેનો પુત્ર સ્મિત પરમાર ઉપરાંત મૂળ સુરતના શૈલેષ કળથિયાનું મોત નિપજ્યું હુતું.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 6:00 am

મંડપ ઉડ્યો, ફૂલ લબડી ગયા:સંઘવીની સ્પીચ પહેલા જ કાર્યકરો ધંધે લાગ્યા; કોંગ્રેસને ડખા ડૂબાડશે, મેવાણી પર માછલા ધોવાયા

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 6:00 am

પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી:રાહુલે પગ પકડી રાખ્યા, પાયલે મોં પર ઓશીકું દબાવી દીધું; આડા સંબંધમાં 3 બાળકો નિરાધાર થયા

ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં તમે વાંચ્યું કે સંજયની તેના જ ઘરમાંથી લાશ મળી હતી પણ શરીર પર ઇજાના કોઇ નિશાન નહોતા. એક તરફ તેની પત્ની નહોતી મળી રહી. બીજી તરફ બાળક પણ હાજર નહોતું. પહેલા તો અકસ્માતે મોત થયાનું લાગ્યું પણ FSL રિપોર્ટમાં હત્યા થઇ હોવાનું ખૂલ્યું હતું. પોલીસે સંજયની પત્ની પાયલ અને તેના પ્રેમી રાહુલની ધરપકડ કરી હતી. પૂછપરછમાં બન્નેએ સ્વીકારી લીધું કે તેમણે જ સંજયની હત્યા કરી હતી પણ હત્યા પાછળનું કારણ હજુ સામે નહોતું આવ્યું. હવે આગળ વાંચો.... આશરે 10 વર્ષ પહેલાં સામાજિક રીતરિવાજ મુજબ સંજય અને પાયલના લગ્ન થયા ત્યારે બંનેના પરિવારોમાં ખુશીનો માહોલ હતો. બન્નેના લગ્નજીવનની શરૂઆત ઘણી સામાન્ય હતી. લગ્ન પછી સંજય પોતાની પત્ની પાયલ સાથે માતા-પિતાથી અલગ રહેવા ગયો હતો. જેથી તેઓ પોતાનું સ્વતંત્ર જીવન જીવી શકે. બન્ને મહેનતુ હતા. દરરોજ સવારે કામ પર નીકળી જતા અને મોડી સાંજે થાક્યાપાક્યા ઘરે પાછા ફરતા. સાથે મળીને રસોઇ બનાવવી, જમવું અને સૂઇ જવું. આ વર્ષોથી ચાલ્યું આવતું તેમનું રૂટિન હતું. બન્નેનું લગ્નજીવન સુખમય રીતે પસાર થઇ રહ્યું હતું પરંતુ કોઇને ખબર નહોતી કે ભવિષ્યમાં આ સુખી લગ્નજીવનમાં કલહ શરૂ થવાનો હતો. જેનું મૂળ એક યુવાન બનવાનો હતો. બન્ને જ્યાં રહેતા હતા ત્યાંથી થોડા ઘર છોડીને રાહુલ નામનો એક યુવાન રહેતો હતો. રાહુલ કુંવારો હતો અને રિક્ષા ચલાવતો હતો. પાડોશી હોવાના કારણે રાહુલ અને સંજય એકબીજાને ઓળખતા હતા અને ક્યારેક મળતા રહેતા હતા. સંજયની હત્યાના અંદાજે દોઢેક વર્ષ પહેલાં રાહુલ અને પાયલની આંખો મળી ગઇ હતી. બન્ને વચ્ચેના સંબંધો ધીરે ધીરે વધવા લાગ્યા હતા. સંજયની ગેરહાજરીમાં બન્ને ચોરીછૂપીથી મળતા. ઉર્દૂમાં કહેવત છે કે ઇશ્ક ઔર મુશ્ક છીપાયે નહીં છીપતે. જેનો અર્થ છે કે લાખ કોશિષ બાદ પણ પ્રેમ અને કસ્તૂરીની સુંગધ છૂપાવી નથી શકાતી. આ ઉર્દૂ કહેવત રાહુલ અને પાયલના કેસમાં પણ યથાર્થ સાબિત થઇ. બન્ને વચ્ચે પાંગરેલો પ્રેમ છૂપો ન રહ્યો. તે જ્યાં રહેતા હતા ત્યાં બધાને ખબર પડી ગઇ કે તેમની વચ્ચે અફેર ચાલી રહ્યું છે. જો કે એકમાત્ર સંજય જ એવો હતો જેને આ અંગે કોઇ ખબર નહોતી. એકાદ વર્ષ બાદ સંજયને પણ ખબર પડી ગઇ કે બન્ને વચ્ચે કંઇક ચાલે છે ત્યારથી તેમના ઘરમાં ઝઘડા ચાલુ થઇ ગયા હતા. સંજય જ્યારે જ્યારે પાયલ સાથે આ અંગે વાત કરતો ત્યારે બન્ને વચ્ચે બોલાચાલી થતી. જે ઘણીવાર મારઝૂડ સુધી પહોંચી જતી. હવે તો સંજય, પાયલ અને રાહુલ એમ ત્રણેયના પરિવારને પણ આની ગંધ આવી ગઇ હતી પણ કામમાં વ્યસ્તતાના કારણે તેમને સમજાવવાનો સમય નહોતો મળતો. પોલીસે કરેલી પૂછપરછમાં પાયલે એક પછી એક રહસ્યો ખોલવાના શરૂ કર્યા. તેણે કહ્યું સાહેબ, હું અને સંજય ઘરકામ કરીએ છીએ. જે રાતે સંજયની હત્યા કરી એ રાતે અમે શેલાથી કામ કરીને ઘરે પાછા આવ્યા હતા અને જમવા માટે ભજિયાં બનાવ્યા હતા. સંજય પોતાના પિતાને ત્યાં ભજિયાં આપવા ગયો હતો. ઘરે આવ્યા બાદ અમારા બન્ને વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. જેનું કારણ હતું રાહુલ અને મારા સંબંધો. બન્ને વચ્ચેનો ઝઘડો મોડી રાત સુધી ચાલ્યો. હવે આ ઝઘડામાં રાહુલની એન્ટ્રી થવાની હતી. આ ઝઘડો એટલો વધ્યો કે અવાજ બહાર સુધી જવા લાગ્યો. રાહુલ તેમના ઘર પાસેથી પસાર થયો. ઝઘડાનો અવાજ સાંભળીને તે ઘરે આવ્યો અને સંજયને કહ્યું કે તુ પાયલની સાથે કેમ ઝઘડે છે? તેને કેમ મારે છે? રાહુલની દરમિયાનગીરીથી સંજય અકળાઇ ગયો. તેને થયું કે આ તો પતિ-પત્ની વચ્ચેની વાત છે એમાં રાહુલ શા માટે વચ્ચે પડે છે? સંજયના હૈયાની વાત હોઠ પર આવી ગઇ. સંજયે રાહુલને કહી દીધું કે આ અમારા ઘરનો મામલો છે. તું તારું કામ કાર, વચ્ચે ન પડીશ. આના પછી રાહુલ ઘરે જતો રહ્યો હતો પણ અહીં સંજય અને પાયલ વચ્ચે ઝઘડો ચાલુ જ હતો. સંજયે પિત્તો ગુમાવ્યો અને પાયલને મારવા લાગ્યો. પાયલે થોડીવાર સુધી તો માર સહન કર્યો પણ છેવટે કંટાળીને રાહુલને ફોન કરી દીધો અને કહ્યું કે તુ મારા ઘરે આવી જા, સંજય હજુ મને મારે છે. આના પછી રાહુલ સંજયના ઘરે પહોંચ્યો હતો. પોતાની પ્રેમિકાને હેરાન થતી જોઇ આ વખતે રાહુલના ગુસ્સાનો પણ પાર નહોતો. તેણે સંજયને કહ્યું કે, તુ કેમ પાયલને મારે છે? આ તારૂં રોજનું થઇ ગયું છે. આજે તારું પૂરું જ કરી નાખું. આવું કહીને રાહુલે ઘરનો દરવાજો અંદરથી બંધ કર્યો. જેના પછી બન્ને વચ્ચે ઝપાઝપી થઇ હતી. ઘર નાનું હતું. તેમાં બધી ઘરવખરી પડેલી હતી. રાહુલ અને સંજય વચ્ચે ઝઘડો ચાલતો હતો તે દરમિયાન પાયલ બાજુમાં જ ઊભી રહીને આ દ્રશ્ય જોઇ રહી હતી. પાયલના મનમાં પણ રોષ હતો. તેનું ધ્યાન બાજુમાં પડેલા ટુવાલ પર ગયું. તેણે તરત ટુવાલ ઉપાડ્યો અને સંજયના ગળામાં નાખી દીધો. અચાનક થયેલા આવા હુમલાથી સંજયને કંઇ ખબર પણ ન રહી કે એની સાથે હવે શું થવાનું હતું. સંજય કંઇ સમજે એ પહેલાં જ પાયલ અને રાહુલે તેને જમીન પર પછાડી દીધો. રાહુલે સંજયના પગ પકડી રાખ્યા અને પાયલે પછી તેના મોં પર ઓશીકું દબાવી દીધું. હવે સંજયનો શ્વાસ રુંધાવા લાગ્યો હતો. તેણે ઘણા હવાતિયાં માર્યા અને છૂટવાના પ્રયત્ન કર્યા પણ એ શરીરે સાવ સૂકલકડી હતો. પાયલ અને રાહુલની સામે એની તાકાત ઓછી પડી. થોડી જ વારમાં ગૂંગળામણને કારણે સંજયનું મોત નીપજ્યું હતું એટલે જ શરીર પર લોહીના કે ઇજાના કોઇ નિશાન નહોતા. રિમોટ એરિયામાં તેમનું ઘર હોવાથી પડોશીઓને પણ ખ્યાલ ન આવ્યો કે બાજુમાં આટલી મોટી ઘટના ઘટી ગઇ છે. આ તરફ પાયલ અને રાહુલને કંઇક ભાન આવ્યું. તેમને રિયલાઇઝ થયું કે આવેશમાં આવીને અમે આ શું કરી નાખ્યું? પણ હવે બન્ને કંઇ કરી શકે તેમ નહોતા. પાયલ પોતાના દીકરાને લઇને રાહુલની સાથે ઘરની બહાર આવી. દરવાજાને આંકડી મારીને રાહુલના ઘરે જતાં રહ્યાં. રાહુલના ઘરે થોડીવાર રોકાયા બાદ એ લોકો પાછળના દરવાજેથી બહાર નીકળી ગયા. પીપણ ગામના પાટિયા પાસે જતાં રહ્યાં ત્યાંથી ડમ્પરમાં બેસીને ડોળિયા બાઉન્ડરી ગયા. ત્યાંથી બન્ને રાહુલના મામાના ઘરે પહોંચ્યા હતા. મામાના ઘરેથી રાહુલે પોતાના નાનાભાઇને ફોન કરીને કહ્યું કે આવી ઘટના ઘટી ગઇ છે, તમે ઘર છોડીને નીકળી જાઓ નહીંતર પોલીસ પકડી લેશે. રાહુલના ફોન બાદ તેનો ભાઇ માતા-પિતા અને દાદાને લઇને થાનગઢ પહોંચ્યો હતો. જ્યાંથી પોલીસે બધાને પકડી લીધા હતા. પાયલ અમદાવાદના બોપલ-શેલા જેવા હાઇફાઇ વિસ્તારોમાં કામ કરતી હતી એટલે તેને વોટ્સએપ કોલ કરતા આવડતો હતો. જેથી તે પોતાની માતા સાથે વોટ્સએપ કોલથી સંપર્કમાં હતી. તેણે માતાને બધી વાત કરી હતી કે અમે સંજયની હત્યા કરી નાખી છે. આજે સંજય આ દુનિયામાં નથી. પાયલ અને રાહુલ જેલના સળિયા પાછળ ધકેલાઇ ગયા છે. જ્યારે પાયલના 3 સંતાનોએ પિતાની છત્રછાયા તો ગુમાવી જ પણ સાથોસાથ માતાથી પણ અલગ થવાનો વારો આવ્યો છે. કાયદો તો કાયદાનું કામ કરશે અને ગુનેગારોને સજા પણ થશે પરંતુ આ કેસ સમાજને એક મેસેજ આપી જાય છે કે લગ્નેતર સંબંધોનું પરિણામ હંમેશા ભયાનક જ હોય છે. પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી, વાંચો પાર્ટ-1

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 6:00 am

માંજલપુરના વોર્ડ 17માં 2 દિગ્ગજ બાખડ્યા:જૂના જોગીઓમાં ‘ઘમાસાણ’; યોગેશ પટેલે ખર્ચ મુદ્દે જીતુ સુખડિયાના પુત્રને આયાતી ગણાવ્યા!

માંજલપુર વિધાનસભાના વોર્ડ-17માં ટિકિટ વહેંચણી અને ચૂંટણી ખર્ચ મુદ્દે યોગેશ પટેલ અને જીતુ સુખડિયા બાખડ્યા છે. યોગેશ પટેલે વોર્ડ-17ને ‘શ્રાપિત’ ગણાવી કહ્યું કે, ‘અહીં હંમેશા બહારના ઉમેદવારો જ થોપાય છે. આયાતી ઉમેદવાર ચૂંટણી લડે તો કાર્યાલયનો ખર્ચ પોતે જ ઉપાડવો પડશે, બાકી કાર્યાલય બંધ કરી શે.♠’ જીતુ સુખડિયાએ કહ્યું કે, તેમનો પુત્ર હિરેન 35 વર્ષથી આ જ વોર્ડમાં રહે છે, કાર્યાલય પાર્ટી ચલાવે છે, યોગેશ કાકા નહીં. કોણ કેટલો ખર્ચ કરશે તે પણ પક્ષ નક્કી કરશે. યોગેશ પટેલ જેવા સિનિયર નેતા ફ્રસ્ટ્રેટ કેમ છે તે સમજાતું નથી. અનુભવે મિત્ર બદલાઈ ગયા છે, મિત્રતાની ખબર તો સમય આવે જ પડે છે.’ ધારાસભ્ય યોગેશ પટેલના આકરા પ્રહાર ખર્ચનો મુદ્દો: બહારથી ચૂંટણી લડવા આવતા આયાતી ઉમેદવારોએ કાર્યાલયનો ખર્ચ ઉપાડવો પડશે. અલ્ટિમેટમ: ખર્ચ નહીં ચૂકવાય તો વોર્ડ-17નું કાર્યાલય બંધ કરવા ચીમકી શ્રાપિત વોર્ડ: વોર્ડ-17 શ્રાપિત છે, કારણ કે અહીં દર વખતે પાર્ટી સ્થાનિકને બદલે બહારના ઉમેદવારો (આયાતી) જ મૂકે છે. ઉમેદવારોનું લિસ્ટ: કનુ ભરવાડ, અલ્પેશ લિમ્બાચિયા, શૈલેષ પાટીલ અને હવે હિરેન સુખડિયા બધા બહારના છે. ટિકિટ વહેંચણીમાં ગોલમાલ: ટિકિટ વહેંચણીમાં શું રમત થઈ છે તે હું બધું જ જાણું છું અને યોગ્ય સમયે તેનો ખુલાસો કરીશ. કાર્યકરોની નારાજગી: મારા વોર્ડના નિષ્ઠાવાન કાર્યકરો દુઃખી છે. 3 પ્રબળ દાવેદારો હતા પણ તેમને 60 વર્ષના નિયમમાં કાઢી મૂકાયા. બેઠકો પર દાવો: વિવાદ છતાં, મારા વિધાનસભા હેઠળની તમામ 12 બેઠકો ભાજપ જ જીતશે. પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડિયાનો પલટવાર સ્થાનિક હોવાનો પુરાવો: મારો પુત્ર હિરેન 35 વર્ષથી વોર્ડ નં. 17માં જ રહે છે, તેને આયાતી કહેવો પાયાવિહોણું છે. પક્ષ સર્વોપરી: ચૂંટણી કાર્યાલય પાર્ટીના નામે ચાલે છે, યોગેશ પટેલની વ્યક્તિગત માલિકીનું નથી. ખર્ચ અંગે સ્પષ્ટતા: કોણ ખર્ચ આપશે તે સંગઠન, પાર્ટી નક્કી કરશે, યોગેશ પટેલનું મનસ્વીપણું નહીં ચાલે. ફ્રસ્ટ્રેશન પર સવાલ: યોગેશ પટેલ જેવા સિનિયર નેતા આટલા બધા ફ્રસ્ટ્રેટ કેમ થયા છે તે સમજાતું નથી. મિત્રતામાં તિરાડ: અનુભવે હવે મિત્રો બદલાઈ ગયા છે. મિત્રતાની સાચી ખબર મુશ્કેલ સમય આવે ત્યારે જ પડે છે. જવાબદારીની વાત: મારી અને શબ્દશરણ બ્રહ્મભટ્ટની જવાબદારી આખા વડોદરા શહેરની છે, જ્યારે યોગેશ કાકાની જવાબદારી માત્ર તેમના વિસ્તાર પૂરતી સીમિત છે. નિવેદન: તે (યોગેશ પટેલ) ગમે તે બોલે, હવે તેનાથી કોઈ ફરક પડવાનો નથી કે કશું વળવાનું નથી.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

ફરિયાદ:ભાજપની ફેરણીમાં SC મોરચાના પ્રમુખની પૂર્વ કાર્યકર સાથે મારામારી

વડોદરાના વોર્ડ નં. 5માં કિશનવાડીમાં ભાજપની ફેરણીમાં અનુસૂચિત જાતિ મોરચાના શહેર પ્રમુખે પૂર્વ કાર્યકર સાથે મારામારી કરી હોવાનો વીડિયો વાઈરલ થયો છે. પૂર્વ કાર્યકરની પત્નીએ આમ આદમી પાર્ટીમાંથી ભરેલું ઉમેદવારી ફોર્મ રદ થવા અંગે રજૂઆત કરી હતી. દરમિયાન હોબાળા બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. વોર્ડ નં. 5માં કિશનવાડી પોલીસ ચોકી પાસે સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ અને ચાર ઉમેદવારો ફેરણીમાં હતા. તે સમયે ભાજપના પૂર્વ કાર્યકર હિતેશ રાઠોડે ડો. હિતેન્દ્ર પટેલને રોક્યા હતા. હિતેશ રાઠોડે પોતાની પત્નીનું ફોર્મ રદ કરાવવા મુદ્દે ઉગ્ર રજૂઆત શરૂ કરી હતી. રજૂઆત દરમિયાન ત્યાં હાજર અનુસૂચિત જાતિ મોરચાના શહેર પ્રમુખ યોગેન્દ્ર પરમારે હિતેશ રાઠોડને ધક્કો માર્યો હતો, જેના કારણે ઝપાઝપી થઈ હતી. જોકે, અન્ય ઉમેદવારોએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. જાહેર રસ્તા પર થયેલા આ હુમલા અને ધક્કામુક્કીના દ્રશ્યો કેમેરામાં કેદ થતા વીડિયો વાઈરલ થયો છે, જેનાથી સ્થાનિકોમાં પણ નારાજગી જોવા મળી હતી. એવું કેમ કહ્યું કે તારી પત્નીએ આપમાંથી ફોર્મ કેમ ભર્યું? તે પછી ઝપાઝપી થઇકિશનવાડીમાં ડો. હિતેન્દ્ર પટેલને મળીને હિતેશ રાઠોડે જણાવ્યું કે, ગમે ત્યાંથી ચૂંટણી લડીએ, અમે વર્ષો ભાજપમાં રહ્યા છીએ અને કાર્યકરો પરિવાર છે. છતાં તમે મને એવું કેમ પૂછ્યું કે તારી પત્નીએ ‘આપ’માંથી ફોર્મ કેમ ભર્યું? હું ક્યારેય અહીં પૈસા માટે આવ્યો નથી. હિતેશ રાઠોડ રજૂઆત કરી રહ્યા હતા ત્યારે યોગેન્દ્ર પરમારે ‘કોઈ વાત નથી કરવી’ કહીને નેતાઓને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે ઝપાઝપી થઇ હતી.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

ભાસ્કર એક્સક્લુસિવ‎:શહેરનું એકપણ રાઇડ્સ વિહોણું એમ્યુઝમેન્ટ પાર્ક બન્યું વેરાન, તંત્રની ઢીલી નીતિથી બાળકો મનોરંજનથી વંચિત

​જામનગર શહેરના ગૌરવ સમાન એમ્યુઝમેન્ટ પાર્કમાં છેલ્લા પાંચ મહિનાથી એક પણ રાઈડ ચાલુ ન હોવાથી સ્થાનિકો અને ખાસ કરીને બાળકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. અગાઉ અહીં ખાનગી પેઢી દ્વારા રાઈડ્સનું સંચાલન કરવામાં આવતું હતું, પરંતુ કોન્ટ્રાક્ટ પૂર્ણ થતાં જૂની પેઢીએ તમામ રાઈડ્સ હટાવી લીધી છે. પરિણામે, જે પાર્ક ક્યારેક બાળકોના કિલ્લોલથી ગુંજતો હતો, તે આજે વેરાન બની રહ્યો છે. હાલ બાળકો ઉનાળા વેકેશનમાં પાર્કમાં રાઈડ્સની મજા નહીં માણી શકે. એમ્યુઝમેન્ટ પાર્કમાં નવી રાઈડ્સ માટેની જામ્યુકો તંત્રના પ્રોજેકટ એન્ડ પ્લાનિંગ શાખા દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં સુરતની એક ગેમઝોન પેઢીને કોન્ટ્રાક્ટ ફાળવવામાં આવ્યો છે. જોકે, નવા સંચાલકો દ્વારા હાલ એન.ઓ.સી. (NOC) મેળવવા, સહિતના નિયમોના પાલન માટે કાગળોની કામગીરી કરવામાં આવી રહી છે. આ વહીવટી પ્રક્રિયા જોતા હજુ પણ ચારેક મહિના સુધી રાઈડ્સ શરૂ થાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી. આમ, જામનગરના બાળકોએ મનોરંજન માટે હજુ લાંબી રાહ જોવી પડશે. માત્ર રાઈડ્સ જ નહીં, પરંતુ પાર્કમાં આવેલા સામાન્ય રમત-ગમતના સાધનો પણ હાલ બિસ્માર અને તૂટેલી હાલતમાં છે. બાગમાં આવતા મુલાકાતીઓ માટે બેસવા માટેના બાંકડા પણ પૂરતા નથી. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલી આ મિલકત જાળવણીના અભાવે જર્જરિત થઈ રહી છે. સુવિધાઓના અભાવે પાર્કમાં આવતા સહેલાણીઓની સંખ્યામાં પણ મોટો ઘટાડો થઈ રહ્યો છે. ​તંત્રની ધીમી ગતિને કારણે મનોરંજનના સાધનોથી વંચિત બાળકો અને વાલીઓમાં વહીવટી તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માગ છે કે, નવી પેઢીને કોન્ટ્રાક્ટ મળી ગયો હોય તો વહીવટી મંજૂરીઓ વહેલી તકે પૂર્ણ કરી રાઈડ્સ શરૂ કરવામાં આવે. હાલ બાળકોના ઉનાળા વેકેશન શરૂ થયું છે. તેમ છતાં બાળકો આ એમ્યુઝમેન્ટ પાર્કમાં મનોરંજન માટેનની રાઈડ્સનો લ્હવો માણી શકશે. જામ્યુકો તંત્રની આ ઢીલી નિતીના કારણે બાળકોને આ વખતે મનોરંજનનો લ્હવો નહીં મળે. જેથી બાળકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. એમ્યુઝમેન્ટ પાર્કનો લાઈટીંગ ફુવારો લાંબા સમયથી બંધ હાલતમાં શહેરમાં આવેલા એમ્યુઝમેન્ટ પાર્કમાં લાખો રૂપિયાના ર્ખચે સુ-શોભન માટે લાઈટીંગ સાથેનો ફુવારો મુકવામાં આવ્યો છે. જે લાંબા સમયથી બંધ હાલતમાં છે, પાણીમાં પણ સેવાળ જામી ગયો છે. જેથી હાલ લાખોની કિંમતનો ફુવારાની હાલત અતિ ખરાબ છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

લોકજાગૃતિ:કોર્પોરેશન વિસ્તારમાં વેસ્ટ કલેક્શનના વાહનોમાં ગીત વગાડીને મતદાન જાગૃતિની અનોખી પહેલ

જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મતદારોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવા માટે તંત્ર દ્વારા નવતર પહેલ હાથ ધરવામાં આવી છે. ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટે આવતા વાહનોમાં મતદાન જાગૃતિનું ગીત વગાડીને લોકોને મતદાન કરવા પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા માટે અનોખી પહેલ વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત દરરોજ વિવિધ વિસ્તારોમાં ફરતી વેસ્ટ કલેક્શનની ગાડીઓમાં મતદાન જાગૃતિ ગીતો પ્રસારિત કરવામાં આવે છે. જેના કારણે સામાન્ય નાગરિકોમાં મતદાન પ્રત્યે રસ અને જવાબદારીની ભાવના વિકસી રહી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ દરેક મતદાર સુધી સરળ અને અસરકારક રીતે મતદાનનો સંદેશ પહોંચાડવાનો છે, જેથી આવનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સમાન્ય ચૂંટણીઓના તા.26-04-2026ના રોજ યોજાનાર મતદાનમાં વધુમાં વધુ લોકો મત આપી લોકશાહી મજબૂત બનાવવામાં પોતાનો ફાળો આપે. શહેરના તમામ વિસ્તારો તેમજ ગલીઓમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન કરતી કચરા ગાડીઓ કચરો લઈ લીધા બાદ પણ તે વિસ્તારમાં ઘડીક ઉભી રહે છે, જેથી લોકો ગીત સાંભળીને મતદાન કરવા માટેની વાત કરવામાં આવતી હોવાનું સમજી શકે. હાલ શહેરમાં ચાલતી કચરા ગાડીઓમાં સવારે અને સાંજે બે સમયે વિસ્તારોમાં લોકોને મતદાન અંગે જાગૃત કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

રહીશોમાં રોષ:રજૂઆત કરીએ તો ભાજપ ઢોલ વગાડી અવાજ દબાવે છે

શહેરના વોર્ડ 7માં સમાવિષ્ટ કારેલીબાગના આનંદનગરમાં મત માગવા ગયેલા ભાજપના ઉમેદવારોને સ્થાનિકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. રહીશોએ વર્ષોથી વણઉકેલ્યા પ્રશ્નો અંગે ઉમેદવારો પર સવાલોનો મારો ચલાવ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, છેલ્લાં 10 વર્ષથી વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે અને વારંવારની રજૂઆત છતાં વરસાદી ગટરનું કામ કરવામાં આવતું નથી. જ્યારે પણ અમે રજૂઆત કરીએ છીએ ત્યારે નેતાઓ ઢોલ વગાડીને અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે. ભાજપના ઉમેદવારો અને કાર્યકરો સોમવારે પ્રચાર માટે આનંદનગર પહોંચ્યા ત્યારે વાતાવરણ ગરમાયું હતું. સ્થાનિકોએ ફરિયાદ કરી હતી કે, 10 વર્ષથી વરસાદી ગટર ન હોવાથી ચોમાસામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. એક વૃદ્ધે રોષે ભરાઈને જણાવ્યું કે, “અગાઉ જયંતી રાવજીએ વરસાદી ગટર મંજૂર કરાવી હતી, ત્યારબાદ કોઈ કામગીરી થઈ નથી. દર વર્ષે નેતાઓ હાથ જોડીને મત માગવા આવે છે, અમે તેમને મત આપીએ પણ છીએ, છતાં અમારાં કામ થતાં નથી.” આ ઉપરાંત મહિલાઓએ પણ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “પાણી ભરાવાની સમસ્યા અંગે અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં તંત્ર કે નેતાઓ ધ્યાન આપતા નથી. આજે અમે હકીકત જણાવવા ગયા ત્યારે કાર્યકરોએ ઢોલ વગાડીને અમારી વાત સાંભળવાને બદલે અવાજ દબાવવાની કોશિશ કરી હતી.” રાવપુરા કાપડી પોળ-કોયલી ફળિયામાં વિરોધ થયો હતોવોર્ડ 7ના પૂર્વ કાઉન્સિલર અને ઉમેદવાર સાથે નવા ચહેરાઓ કોયલી ફળિયામાં વોટ માગવા પહોંચ્યા હતા. જ્યાં નારાજ મહિલાઓએ તેમને ઘેર્યા હતા. ભારે વિરોધ વચ્ચે તમામ ઉમેદવારો અને કાર્યકરોએ ત્યાંથી નીકળી જવું પડ્યું હતું. તે જ રીતે રાવપુરા કાપડી પોળમાં પણ ઊભરાતી ગટરથી પરેશાન મહિલાઓએ ઉમેદવારોને પકડી સવાલો પૂછતાં ઉમેદવારો ડઘાઈ ગયા હતા.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:પારો 40 ડિગ્રી; જૂનાગઢનો પ્રથમ જાહેર સ્વિમિંગ પુલ શરૂ : 6થી લઈ 70 વર્ષના તરવૈયાના ધૂબાકા

જૂનાગઢ કોર્પોરેશન સંચાલિત શહેરના એકમાત્ર સ્વિમિંગ પૂલને જનતા માટે ખુલ્લો મુકાતા જ200 પુરુષો, 40 મહિલાઓ અને 50 જેટલા બાળકો સભ્ય તરીકે નોંધાઇ ગયા છે. અહીંયાનવા પ્રવેશાર્થીઓએ કુલ 1400 ભરવાના રહે છે. જેમાં 100 ફોર્મ ફી, 100 આઈ કાર્ડ ફી અને 1200 ત્રણ મહિનાના કોચિંગની ફી નક્કી કરવામાં આવી છે. હાલમાં સ્વિમિંગ પૂલમાં ટ્રેનિંગ લઈ રહેલા સભ્યોમાં 6 વર્ષના બાળકથી લઈને 70 વર્ષના વડીલોનો સમાવેશ થાય છે. ખાસ કરીને દીકરીઓ માટે 10 વર્ષથી ઉપરની વયના ગ્રુપમાં પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કરોડો ખર્ચ્યા પણ લાઈફ ગાર્ડનો અભાવ પૂલમાં મોટી સંખ્યામાં બાળકો અને વૃદ્ધો સ્નાન કરી રહ્યા છે, પરંતુ જો કોઈ ડૂબવાની ઘટના બને તો તેને બચાવવા માટે એક પણ લાઈફ ગાર્ડ તૈનાત નથી. માત્ર ટ્રેનરના ભરોસે જ આખું સંકુલ ચાલી રહ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે અહીં પ્રાથમિક સારવાર માટે મેડિકલ કીટ છે પણ ઓક્સિજન સિલિન્ડર જેવા જીવનરક્ષક સાધનો નથી. તસવીર: મેહુલ ચોટલીયા

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:જુડાની કચેરી પર જોખમ તોળાયું: ઈમારત ખાલી કરવા RBએ આખરી નોટિસ આપી

નવાબી કાળ અને અંગ્રેજોના શાસનકાળની સાક્ષી પૂરતો જુનાગઢનો ઐતિહાસિક પંકજ બંગલો જર્જરી થઈ ગયો છે. શહેરના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ઈમારતને અત્યંત ભયજનક જાહેર કરવામાં આવી છે. નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરી દ્વારા જુનાગઢ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી (જૂડા) ને બીજી નોટિસ ફટકારીને તાત્કાલિક અસરથી કચેરી ખાલી કરવા કડક આદેશ આપવામાં આવ્યો છે. વર્ષાઋતુ નજીક હોય, આ જૂનું માળખું ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેમ છે, જેના કારણે જાનહાનીનો મોટો ભય સેવાઈ રહ્યો છે. આ જ બિલ્ડીંગમાં કાર્યરત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કચેરીએ અગાઉની સૂચનાને ધ્યાને રાખીને સમયસૂચકતા વાપરી જગ્યા ખાલી કરી દીધી છે. માર્ગ અને મકાન વિભાગના પત્ર મુજબ, પંકજ બંગલોનું સ્ટ્રક્ચર એટલું જર્જરિત થઈ ગયું છે કે તે હવે વપરાશ યોગ્ય રહ્યું નથી. આસપાસથી પસાર થતા રાહદારીઓ અને કચેરીના સ્ટાફ પર સતત મોતનું જોખમ તોળાઈ રહ્યું છે. વારંવારની લેખિત જાણ કરવા છતાં 'જૂડા' તંત્ર દ્વારા કોઈ પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી કે જગ્યા ખાલી કરવાની તસ્દી લેવાઈ નથી. આર એન્ડ બી વિભાગે સ્પષ્ટ કર્યું છે કે જો સમય મર્યાદામાં કબજો સોંપવામાં નહીં આવે અને ભવિષ્યમાં કોઈ દુર્ઘટના સર્જાશે, તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વિભાગના શિરે રહેશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કાર્યવાહી જૂડાની કચેરી હજુ પણ આ જોખમી બિલ્ડીંગમાં જ ધમધમી રહી છે. તંત્ર દ્વારા અગાઉ 2023 માં પણ નોટિસ આપવામાં આવી હતી, છતાં પરિસ્થિતિ જસની તસ રહેતા હવે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-2003 હેઠળ આ મામલે કડક કાર્યવાહીની તૈયારી બતાવવામાં આવી છે. કલેકટર, એસ. પી., કમિશનરને જાણ કરાઈઆ ગંભીર બાબતની જાણ જિલ્લા કલેકટર, પોલીસ અધિક્ષક અને મ્યુનિસિપલ કમિશનરને પણ નકલ રવાના કરીને કરવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે વહીવટી તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જુએ છે કે પછી સમય રહેતા આ ઐતિહાસિક બિલ્ડીંગને ખાલી કરાવી લોકોના જીવ બચાવે છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

ફરિયાદ:શેરબજારમાં રોકાણના નામે યુવક સાથે 43 લાખની છેતરપિંડી, ખોટા કેસની ધમકી

શેરબજારમાં રોકાણ કરી ઊંચું વળતર મેળવવાની લાલચ આપી શહેરના એક યુવક સાથે 43ની છેતરપિંડી કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. નાગર રોડ, હેઠાણ ફળિયામાં આવેલ ગોકુલ એપાર્ટમેન્ટમાં રહેતા 36 વર્ષીય ભાવિકભાઈ સુધીરભાઈ માંકડે નોંધાવેલી ફરિયાદ મુજબ વર્ષ 2022માં તેની મુલાકાત કાળવા ચોક ખાતેના ગેસ્ટ હાઉસમાં વડોદરા જિલ્લાના કરજણ ગામના જીતેશ પ્રવીણભાઈ પ્રજાપતિ સાથે થઈ હતી. જીતેશે પોતે સ્ટોક ટ્રેડિંગ કંપની ચલાવતો હોવાનું કહી ભાવિકભાઈને શેરબજારમાં રોકાણ કરી સારૂ વળતર મેળવવા લલચાવ્યા હતા. તેની વાતોમાં આવીને યુવકે જીતેશ, તેના પિતા પ્રવીણભાઈ અને માતા જયાબેન પ્રજાપતિના બેંક ખાતામાં અલગ-અલગ સમયે અંદાજે રૂપિયા 51 લાખ જેટલી રકમ ટ્રાન્સફર કરી હતી. ​લાંબો સમય વીતવા છતાં ન તો વળતર મળ્યું કે ન તો મુદ્દલ રકમ પરત મળી. વારંવારની ઉઘરાણી બાદ શક્સોએ માત્ર રૂપિયા 8 લાખ પરત કર્યા હતા, જ્યારે બાકીના રૂપિયા 43 લાખ ચૂકવવામાં ઠાગાઠૈયા કરતા હતા. ગત 9 માર્ચ, 2025ના રોજ જ્યારે ભાવિકે ફોન પર પોતાના નાણાંની માંગણી કરી, ત્યારે નાણાં આપવાનો ઇનકાર કરી દીધો હતો. એટલું જ નહીં, જાનથી મારી નાખવાની તેમજ સ્યુસાઈડ કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. ​આખરે ભાવિક માંકડે સોમવારે ફરિયાદ કરતા એ ડિવિઝન પોલીસે જીતેશ પ્રજાપતિ, પ્રવીણભાઈ પ્રજાપતિ અને જયાબેન પ્રજાપતિ વિરુદ્ધ કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

ભાસ્કર ખાસ:6ઠ્ઠી પ્રસૂતિમાં ગર્ભાશય ફાટી જતા જીવ જોખમમાં મુકાયો, સિવિલમાં જટિલ ઓપરેશન કરી મહિલાને બચાવી લેવાઇ

શહેરની સિવિલ હોસ્પિટલમાં એક 34 વર્ષીય મહિલા, જેમને અગાઉ ચાર નોર્મલ અને એક સિઝેરિયન ડિલિવરી થયેલી હતી, તેઓ તેમની છઠ્ઠી પ્રસૂતિ દરમિયાન જટિલ પરિસ્થિતિમાં મુકાયા હતા. ખાનગી હોસ્પિટલમાં ગર્ભસ્થ શિશુના ધબકારા બંધ થઈ જતાં તેમને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. સોનોગ્રાફીમાં બાળક મૃત જણાયું હતું અને માતાનો જીવ પણ જોખમમાં હતો. તાત્કાલિક તપાસ કરતા માલૂમ પડ્યું કે મહિલાનું ગર્ભાશય ફાટી ગયું હતું (Uterine Rupture) અને પેટમાં લોહીના થર જામી ગયા હતા. ગાયનેક વિભાગના વડા ડો. પ્રિયંકા જોગિયાના માર્ગદર્શન હેઠળ તબીબોની ટીમે સમય સૂચકતા વાપરી તાત્કાલિક સિઝેરિયન ઓપરેશન હાથ ધર્યું હતું. ઓપરેશન દરમિયાન દર્દીને 4 બોટલ લોહી અને 8 બોટલ પ્લાઝ્મા (સફેદ લોહી) ચડાવવામાં આવ્યું હતું. તબીબોએ ભારે જહેમત બાદ ન માત્ર મહિલાનો જીવ બચાવ્યો, પરંતુ તેમનું ગર્ભાશય પણ સુરક્ષિત રાખ્યું હતું. ઓબ્સ્ટેટ્રિક્સ આઈ.સી.યુ.માં સઘન સારવાર બાદ 20 એપ્રિલના રોજ મહિલાને સાજા નરવા રજા આપવામાં આવી હતી. લોહીની 12 બોટલ ચડાવી જીવ બચાવ્યોગર્ભાશય ફાટી જવાથી દર્દીના પેટમાં અતિશય રક્તસ્ત્રાવ થયો હતો, જેના કારણે સ્થિતિ નાજુક બની હતી. ડોક્ટરોએ 4 બોટલ બ્લડ અને 8 બોટલ સફેદ લોહી ચડાવીને ઓપરેશન પાર પાડ્યું હતું. આઠ દિવસની સારવાર બાદ દર્દી સંપૂર્ણ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. > ડો.કૃતાર્થ બ્રહ્મભટ્ટ, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ, જૂનાગઢ

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

ભાસ્કર એક્સક્લુસિવ‎:લગ્નસરાની સિઝનમાં ગેસના બાટલાનું ગ્રહણ‎ફુલકા રોટી, પનીર સબ્જીના લાઇવ સ્ટોલ ગાયબ‎

યુદ્ધની અસર હજુ જૂનાગઢમાં જોવા મળી રહી છે. લગ્નસરાની સિઝન શરૂ થવા છતા ગેસની બોટલની અછતને કારણે મેનુમાં ફેરફાર થયો છે. જેમાં ફુલકા રોટી, ઢોસા, પંજાબી સબ્જી, સ્ટીમ ઢોકળા સહિતના લાઇવ સ્ટોલવાળી વાનગીનો ઘટાડો થયો છે. ગેસ એજન્સીમાંથી મળતી વિગત અનુસાર લગ્નની સિઝનમાં ગેસની બોટલી માંગમાં સતત વધારો જોવા મળતો હોય છે. પરંતુ યુદ્ધને કારણે નિયમમાં ફેરફાર અને અછતને કારણે લીમીટેડ માધ્યમાં જ ગેસની બોટલ મળી રહી છે. જેની અસર લગ્નસરાની સિઝનમાં પડી છે. હાલ બોટલ મળી જશે કે શું સહિતની ઇન્કવાયરીના ફોન પણ કેટરર્સ કે રસોયાના આવી રહ્યા છે. યુદ્ધની અસરને કારણે બાટલા વિતરણમાં નવા નિયમો આવ્યા છે. એટલે કે, પહેલા મહિનામાં બે વખત ધરેલુ ગેસ બુક થઇ શકતા હતા પરંતુ હવે બોટલ મળ્યાના 25 દિવસ પછી બીજો બુક થાય છે એટલે બે મહિનામાં બે જ બાટલા મળે છે. ઉપરાંત નાના-નાના રસોડામાં ઘરેલુ ગેસનો વપરાશ વધારે થતો હતો. દર વર્ષે લગ્નસરાની સિઝન શરૂ થાય ત્યારે 400 બાટલાની વધારે જરૂર રહે છે. હાલ તો રસોયા લોકો બોટલ ન મળવાથી ઓર્ડર પણ કેન્સલ કરી રહ્યા છે. ડિપોઝીટ એડવાન્સ દેવા પણ તૈયાર થયા છે. લગ્નસરાની સિઝન શરૂ થાય તેમાં દર વર્ષે ફુલ ઓર્ડર મળતા હોય છે અને લોકો વધુમાં વધુ વાનગીઓ રાખતા હોય છે. ખાસ કરીને લાઇવ હલવો, ફુલકા રોટી, પંજાબી જેવા લાઇવ સ્ટોલ રાખતા હોય છે પરંતુ ગેસના બાટલાની અછતથી આ સ્ટોલ દૂર કર્યા છે. ઉપરાંત દર વર્ષે જે 15થી વધુ ઓર્ડર હોય તે હાલ માત્ર 4 થી 5 થયા છે. - લાલાભાઇ કોટેચા, કેટરર્સ સંચાલક ક્વોટા સિસ્ટમથી મર્યાદા આવીસરકાર દ્વારા યુદ્ધને કારણે ક્વોટા સિસ્ટમથી બાટલાની ફાળવણી કરવાનુ નક્કી કર્યુ છે. જેેને કારણે હાલ લગ્નની સિઝનમાં દર વર્ષની જેમ પુરતી બોટલનુ વિતરણ કરી શકાતુ નથી. ક્વોટા સિસ્ટમથી જ જેટલુ નક્કી થયુ છે તે મુજબ જ રસોયા કે કેટરર્સ ધારકને બોટલની ફાળવણી કરાઇ રહી છે. > ભાવિન કારીયા, ગેસ એજન્સી મેનેજર

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

ફરિયાદ:બંધડામાં પત્નીએ પતિના ઘરમાંથી 3.90 લાખના દાગીના ચોરી ભાઈને આપી દીધા

વંથલીના બંધડા ગામે રહેતા જતીનભાઈ હરસુખભાઈ સોલંકીએ પોતાની જ પત્ની અને સાળા વિરુદ્ધ રૂપિયા 3.90 લાખના દાગીનાની ચોરીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ખેતી કામ કરતા 28 વર્ષીય જતીનભાઈની ફરિયાદ અનુસાર તેની પત્ની જાનવીબેન જાન્યુઆરી 2025માં સીમંત પ્રસંગ બાદ પિયર ગઈ હતી. તે સમયે તે પોતાની સાથે સ્ત્રીધન અને સોનાનો ચેન, પેન્ડલ સેટ, હાર, વીંટી સહિતના ઘરેણાં લઈ ગઈ હતી. જોકે, એપ્રિલ 2026માં જ્યારે જતીનભાઈના ઘરે અન્ય એક સામાજિક પ્રસંગ આવ્યો અને તિજોરી તપાસવામાં આવી, ત્યારે ખબર પડી કે સોનાના ઘરેણાં ગાયબ હોવાનું માલુમ પડ્યું હતું. યુવાને જ્યારે પત્નીને આ બાબતે પૂછ્યું, ત્યારે શરૂઆતમાં તેણે ગોળગોળ જવાબ આપ્યા હતા. બાદમાં સસરાના ઘરે કડકાઈથી પૂછતા જાનવીએ કબૂલાત કરી હતી કે તેના ભાઈ પ્રિતેશભાઈ રતિલાલ ચાવડાને પૈસાની જરૂર હોવાથી તેણે આ દાગીના તેને આપી દીધા હતા. આ સાંભળી પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પોતાના જ ઘરમાં પત્ની દ્વારા થયેલી આ ચોરી અંગે આખરે યુવકે સોમવારે વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે પત્ની અને સાળા વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પહેલા ગોળ ગોળ જવાબ આપ્યો'તોયુવાને જ્યારે પત્નીને આ બાબતે પૂછ્યું, ત્યારે શરૂઆતમાં તેણે ગોળગોળ જવાબ આપ્યા હતા. બાદમાં સસરાના ઘરે કડકાઈથી પૂછતા જાનવીએ કબૂલાત કરી હતી કે તેના ભાઈ પ્રિતેશભાઈ રતિલાલ ચાવડાને પૈસાની જરૂર હોવાથી તેણે આ તમામ દાગીના તેને આપી દીધા હતા.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

ચૂંટણીમાં મતદાન માટે મંત્ર:પહેલા મતદાન, પછી કામ પોરબંદર સ્વીપ ટીમનું જાગૃતિ અભિયાન તેજ બન્યું

આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખી પોરબંદર જિલ્લામાં મતદાર જાગૃતિ માટે સ્વીપ ટીમ સક્રિય બની છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એસ.ડી. ધાનાણીના માર્ગદર્શન હેઠળ તથા સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી વી.કે. પરમારની આગેવાનીમાં કુતિયાણા તાલુકાની ખાનગી ડેરી ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ડેરી કર્મચારીઓએ અવશ્ય મતદાન કરશું તેવા શપથ લીધા હતા. કાર્યક્રમ દરમિયાન ડેરીના ચેરમેન, ડિરેક્ટર, પ્લાન્ટ મેનેજર તેમજ કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક અવશ્ય મતદાન કરવાનો સંકલ્પ લીધો હતો. સાથે જ ઉપસ્થિત તમામને આવનારી ચૂંટણીમાં મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા જાગૃતિ કાર્યક્રમમાં મતદાનના મહત્ત્વ અંગે માહિતી આપવામાં આવી હતી. “દરેક મત દેશના ભવિષ્યને આકાર આપે છે” એ સંદેશા સાથે નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન સ્વીપ ટીમના દિવ્યેશ ચંદ્રવાડિયા અને ચિંતન ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વીપ ટીમના તમામ સભ્યોએ સંકલિત પ્રયાસો કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

ફરિયાદ:રાણા બોરડી ગામે ચૂંટણીની આચાર- સંહિતા ભંગ અંગેની ફરિયાદ નોંધાઈ

પોરબંદરના રાણાબોરડી ગામે ચૂંટણીની આચારસહિતા ભંગની ફરિયાદ થઈ છે.આ ગામમાં ફરજ બજાવતા ભૂતપૂર્વ તલાટીમંત્રી કોઈપણ પ્રકારના સરકારી ઓર્ડર વગર ગ્રામપંચાયત પ્રવેશ કરતા સ્થાનિક યુવાને લેખિત ફરિયાદ કરી છે. પોરબંદર તાલુકામાં ફરજ બજાવતા તલાટી કમમંત્રી આશિષભાઈ અમલાણી સામે ફોજદારી કેસ દાખલ કરીને સસ્પેન્ડ કરવા સહિત, ચૂંટણી આચારસંહિતા દરમિયાન ગેરકાયદેસર રીતે પોતાના ફરજ વિસ્તાર છોડી દેવા અને શિસ્તનું ઉલ્લંઘન કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવા તથા તપાસ કરવા ચૂંટણીપંચ ગાંધીનગર તેમજ ચૂંટણી અધિકારીને લેખિત રજુઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્યું હતું કે આદર્શ આચારસંહિતા (MCC) અને સરકારી કર્મચારી આચાર નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. સંબંધિત તલાટી-કમ-મંત્રી તેમના ફરજ વિસ્તાર (ગ્રામ પંચાયત/તાલુકા) છોડીને લેખિત સત્તાવાર પરવાનગી લીધા વિના બીજા સ્થાને ગયા હતા.જેથી તેમની સામે કાર્યવાહી કરવા લેખિત રજુઆત કરાઈ હતી. ઓડિયોકલીપ પણ વાઇરલ થઈ રાણાવાવ તાલુકાના રાણા બોરડી ગામે કોઈપણ લેખિત ઓર્ડર વગર ભૂતપૂર્વ તલાટીમંત્રી ગ્રામ પંચાયત પ્રવેશ કરવા બાબતે સ્થાનિક આગેવાન અને તલાટીમંત્રીના વાતચીત અંગેનો ઓડિયોકલીપ પણ વાઇરલ થઈ છે.જેમાં તલાટીમંત્રી દસ્તાવેલ શોધ માટે બોલાવ્યા હોવાનું જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

પિંક સેલિબ્રેશન:દેશના 85 પક્ષી પ્રેમીઓએ પોરબંદરમાં ફ્લેમિંગોના પ્રણય નૃત્યની ઉજવણી કરી

પોરબંદરમાં ફ્લેમિંગોના પ્રણય નૃત્યની ઉજવણી માટે પોરબંદરમાં 2 દિવસીય પિંક સેલિબ્રેશન યોજાયું હતું.જેમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર તથા પશ્ચિમ બંગાળના 85 જેટલા પક્ષી પ્રેમીઓ જોડાયા હતા. મોકર સાગર વેટલેન્ડ કંઝરવેશન કમિટી દ્વારા પોરબંદરમાં પિંક સેલિબ્રેશનનું આયોજન તા 18 એપ્રિલ અને 19 એપ્રિલે કરવામાં આવ્યું હતું. પિંક સેલિબ્રેશન વર્ષ 2015 થી પોરબંદરમાં યોજાય છે. પિંક સેલિબ્રેશન ખાસ ફ્લેમિંગો ના પ્રણય નૃત્ય ની ઉજવણી છે જે પોરબંદર માં જોવા મળે છે. તા 18 ના રોજ તજજ્ઞો દ્વારા પ્રેઝન્ટેશન આપવામાં આવ્યા હતા. ડોક્ટર અર્પિત દેવમુરારી દ્વારા પક્ષીઓ પક્ષી દર્શન અને પક્ષી પ્રેમીઓ ઉપર તેનો ઇતિહાસ વર્તમાન અને ભવિષ્ય વિષય પર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. ગુજરાતના શિકારી પક્ષીઓ ખાસ કરીને ફાલ્કન પર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું તેમણે કચ્છના નાના રણમાં નાના હંજના માળાઓ વિશે પણ પોતાના અનુભવ જતા આવ્યા હતા. ગુજરાતના ફ્લેમિંગો તેની સંખ્યા માળાઓ અને વન વિભાગના પ્રયત્નો વિષય પર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. ડોક્ટર ધવલ વારગીયા પ્રમુખ મોકરસાગર વેટલેન્ડ કન્ઝર્વેશન કમિટી દ્વારા પોરબંદરના ફ્લેમિંગો તથા તેના પ્રણય નૃત્ય વિષય પર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. પ્રેઝન્ટેશન ની સાથે સાથે દૂરબીન રાખવા માટે તમામને એક ઇકો ફ્રેન્ડલી બાયનોક્યુલર બેગ પણ આપવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

રેતી શિલ્પ દ્વારા મતદાર જાગૃતિનો અનોખો સંદેશ:5 કલાકની જહેમત બાદ હું અવશ્ય મતદાન કરીશ'નું રેતીશિલ્પ તૈયાર કરાયું

પોરબંદરના દરિયાકિનારે રેતશિલ્પ દ્વારા 5 કલાકની જહેમત બાદ મતદાન જાગૃતિ માટે હું આવશ્યક મતદાન કરીશની થીમ પર રેતશિલ્પ તૈયાર કરવામાં આવ્યું હતું.આ રેતીશિલ્પને શહેરીજનો અને વિદ્યાર્થીઓ દ્વારા નિહાળ્યું હતું. લોકશાહીના મહાપર્વને ઉજાગર કરવા માટે પોરબંદરના દરિયાકિનારે કરવામાં આવેલ રેતી શિલ્પ દ્વારા ‘મતદાર જાગૃતિ’નો અનોખો અને પ્રભાવશાળી સંદેશ આપવામાં આવ્યો છે. પોરબંદરની ચોપાટી ખાતે ‘મતદાર જાગૃતિ અભિયાન SVAP અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિના સેન્ડ આર્ટિસ્ટ નથુભાઈ ગલચરે રેતીમાં અદ્ભુત શિલ્પ કંડારીને લોકોને મતદાનનું મહત્વ સમજાવ્યું હતું. આ શિલ્પ દ્વારા નાગરિકોને અચૂક મતદાન કરવા માટે ભાવભીની અપીલ કરવામાં આવી હતી, જે દરેક માટે પ્રેરણાદાયક બની છે. પોરબંદરની વસનજી ખેરાજ પ્રાથમિક શાળાના બાળકો, આચાર્ય, શિક્ષકોએ પોરબંદરના દરિયા કિનારે બનેલા રેત શિલ્પને નિહાળેલ અને મતદાર જાગૃતિ સંદેશો પાઠવેલ હતો.ભાજપના પ્રદેશ પ્રમુખે કીર્તિમંદિરની મુલાકાત લીધી. ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ કિર્તિ મંદિર, પોરબંદરની મૂલાકાત લીધી હતી તેમની સાથે ગુજરાતના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, પૂર્વ કેબિનેટમંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રભારી વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારીએ પણ મૂલાકાત લઈને પૂજ્ય બાપૂને વંદન કર્યા હતા. મતદાન માત્ર અધિકાર નથી પરંતુ તે દેશ પ્રત્યેની ફરજ પણ છે. પોરબંદરવાસીઓને આગામી 26મી એપ્રિલના રોજ યોજાનાર ચૂંટણીમાં પરિવાર સાથે જોડાઈ ઉત્સાહપૂર્વક મતદાન કરવા અનુરોધ કર્યો હતો. ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને વહેલી સવારમાં મતદાન કરવુ જોઈએ. > વિનોદ પરમાર,SVAP નોડલ ઓફિસર

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

કાર્યવાહી:પાણી પૂરવઠા વિભાગને 7 દિવસમાં બાટલા રિફિલીંગ કરવા ફાયરની નોટિસ

જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, ગુજરાત પાણી પૂરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, કાર્યપાલક ઇજનેર કચેરી પોરબંદર ખાતે આવેલ છે. આ કચેરીમાં મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવે છે.ઉપરાંત કચેરીના ઉપરના માળે વાસ્મો વિભાગ તેમજ મેકેનિકલ સબ ડિવિઝન અને નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ તેમજ જાહેર આરોગ્ય યાંત્રિક પેટા વિભાગ કચેરી કાર્યરત છે, જ્યાં દરરોજ અધિકારીઓ અને કર્મચારીઓની અવરજવર રહે છે. આવા સંજોગોમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ફાયર સેફ્ટીના 4 બાટલા તેમજ ઉપરના માળે પણ ફાયર સેફ્ટીના 4 બાટલા મૂકવામાં આવ્યા છે..મહત્વની વાત એ છે કે, આ તમામ ફાયર સેફ્ટીના બાટલા તા. 31/5/2025 થી એક્સપાયરી થયા છે. 11 માસથી ફાયર સેફ્ટીના બાટલા એક્સપાયર થયા હોવા છતાં અધિકારીઓએ જાણે આંખ આડા કાન કર્યા હોય તેમ હજુ સુધી બાટલાઓ રિફિલિંગ કરાવ્યા નથી. તે અંગેનો દિવ્યભાસ્કર પોરબંદરમાં પ્રસિધ્ધ થતા જ ફાયર બ્રિગેડ વિભાગ સફાળુ પાણી પૂરવઠા કચેરી ખાતે દોડી ગયું હતું અને ફાયર સેફ્ટીના બાટલાઓ ચેક કર્યા હતા. 11 માસથી ફાયર સેફ્ટીના બાટલા એક્સપાયર થયેલા હતા જેથી દિવસ 7માં રિફિલિંગ કરવામાં આવે અને ત્યાં સુધી અન્ય બાટલાની વ્યવસ્થા કરવામાં આવે તેવી નોટીશ ફટકારી છે. પાણી પૂરવઠા બોર્ડની અધિકારી અને કર્મીઓની નજરમાં ન આવ્યું ? ઉલ્લેખનીય છેકે, સરકાર ફાયર સેફટીને લઈને એલર્ટ બની છે અને દરેક વિભાગમાં ફાયર સેફ્ટી અંગે જાગૃતતા દાખવવામાં આવે છે, ત્યારે પાણી પૂરવઠા વિભાગની કચેરી ખાતે 11 માસથી ફાયર સેફ્ટીના બાટલાઓ એક્સપાયરી થયેલ હોવા છતાં અહીં કામ કરતા અધિકારીઓ અને કર્મીઓના ધ્યાને આ બાબત આવી ન હતી, જે તેઓની બેદરકારી સૂચવે છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

BCA ચૂંટણી:ઉમેદવારોની અપીલ સંદર્ભે આજે હાઈકોર્ટમાં ડબલ જજની બેંચ સમક્ષ સુનાવણી

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી મુદ્દે હાઈકોર્ટમાં કાનૂની જંગ ચાલી રહી છે. પૂર્વ ક્રિકેટર કિરણ મોરે સહિત ચાર ઉમેદવારને હાઈકોર્ટે ગેરલાયક ઠેરવી દીધા હતા. ઉમેદવારોની અપીલ પર ડબલ જજની બેંચ સમક્ષ બુધવારે સુનાવણી થનાર છે. 15 એપ્રીલે સુનાવણી થયા બાદ કોર્ટે વધુ સુનાવણી 22 એપ્રિલ પર મુલતવી રાખી હતી. વડોદરાના અરજદારો પ્રદિપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિની રજૂઆતો બાદ અગાઉ સિંગલ જજે પૂર્વ ક્રિકેટર કિરણ મોરે સહિત અમુલ જીકાર, અનંત ઇન્દુલકર અને અમર પેટીવાલાને ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવ્યા હતા. સુપ્રીમ કોર્ટના 2022ના નિર્દેશો મુજબ 9 વર્ષની મર્યાદા અને કુલિંગ પિરિયડના નિયમોનું પાલન ન થયું હોવાનું નોંધી હાઈકોર્ટે રિટર્નિંગ ઓફિસરના નિર્ણયને રદ કર્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, આગામી સુનાવણી સુધી બીસીએની વર્તમાન કમિટી માત્ર કાર્યકારી બોડી તરીકે જ કાર્યરત રહેશે અને તેઓ કોઈ પણ નીતિગત કે મહત્વના નિર્ણયો લઈ શકશે નહીં. તેમજ ચૂંટણીનું પરિણામ જાહેર કરવા પર પણ હાલ રોક લગાવવામાં આવી છે. હાઈકોર્ટના નિર્ણય બાદ બીસીએની ચૂંટણીમાં મોટો વળાંક આવી શકે છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

સિટી એન્કર:એક જ સર્જરીમાં લિવર-કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરી દર્દીને નવજીવન

શહેરની એક ખાનગી હોસ્પિટલમાં કેડેવેરિક (મૃતદાતા) ડોનરથી પ્રાપ્ત લિવર અને કિડનીનું એક દર્દીમાં એક જ સર્જરીમાં સફળ ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. આ ટ્રાન્સપ્લાન્ટથી 10 વર્ષથી ક્રોનિક લિવર ડિસીસ અને 3 વર્ષથી કિડની ફેલ્યોરથી પીડાતા નવસારીના 50 વર્ષીય દર્દીને નવજીવન મળ્યું છે. મૈરિંગો સિમ્સ હોસ્પિટલના લિવર અને એચબીબી સર્જરી ડિપાર્ટમેન્ટના ડાયરેકટર ડો. ગૌરવ પટેલે કહ્યું કે, લિવર અને કિડની ફેલ્યોરથી પીડાતા દર્દીને 29 માર્ચે દાખલ કરાયો હતો. આવા કેસોમાં સામાન્ય રીતે એક-એક અંગ અલગ સમયગાળામાં ટ્રાન્સપ્લાન્ટ કરાય છે. પરંતુ, દર્દીની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમે એક જ ઓપરેશનમાં બંને અંગ સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરી દર્દીને નવી જિંદગી આપી છે. ટ્રાન્સપ્લાન્ટની સફળતાના બે મુખ્ય આધાર કોલ્ડ ઈસ્કેમિયા ટાઈમ : અંગની જાળવણીનો સમયજ્યારે કોઈ અંગ દાતાના શરીરમાંથી બહાર કાઢવામાં આવે અને તેને દર્દીના શરીરમાં પ્રત્યારોપિત કરવામાં આવે, તે વચ્ચેના સમયને ‘કોલ્ડ ઇસ્કેમિયા’ કહે છે. અંગ શરીરની બહાર જેટલો વધુ સમય રહે, તેટલું તેનું કાર્ય નબળું પડવાનું જોખમ વધે છે. તેથી આ સમય ઘટાડવો ખૂબ જરૂરી છે. કિડની પોર્ટ પંપ : અંગને જીવંત રાખતું મશીનઆ એક આધુનિક મશીન છે. લિવર ટ્રાન્સપ્લાન્ટની લાંબી પ્રક્રિયા ચાલતી હોય, ત્યારે કિડનીને આ મશીન સાથે જોડી દેવાય છે. આ મશીન કિડનીમાં લોહીનો પ્રવાહ, ઓક્સિજન અને પોષક તત્વો સતત જાળવી રાખે છે, જેથી અંગને નુકસાન થતું નથી અને ટ્રાન્સપ્લાન્ટની સફળતા વધી જાય છે. ડાયાલિસીસની પીડામાંથી મુક્ત થતા રજા અપાઈ : સર્જરી બાદ દર્દીને ખાસ ટ્રાન્સપ્લાન્ટ ICUમાં રખાયા હતા. ઇન્ફેક્શન અને ક્રિએટિનાઇન લેવલમાં વધ-ઘટ જેવા શરૂઆતી પડકારો છતાં ડોક્ટરોની દેખરેખમાં દર્દી સ્વસ્થ થતાં 14 એપ્રિલે રજા અપાઈ હતી. લિવરની બીમારી અને ડાયાલિસિસની પીડામાંથી મુક્ત થઈને હવે દર્દી સામાન્ય જીવન જીવી શકશે. 16 કલાક સુધી સર્જરી ચાલી - એક જ બ્રેનડેડ દાતાના શરીરમાંથી લિવર અને કિડની મેળવીને તેને એક દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાની પ્રક્રિયા અત્યંત પડકારજનક હતી. - આ ઓપરેશન સફળ બનાવવા ટ્રાન્સપ્લાન્ટ સર્જન, કિડની નિષ્ણાત ક્રિટિકલ કેરના 15 નિષ્ણાત ડોક્ટરોની ટીમે સતત 16 કલાક સુધી ઓપરેશન થિયેટરમાં જહેમત ઉઠાવી હતી. - રાજ્યમાં પહેલીવાર ‘કિડની પોર્ટ પંપ’નો ઉપયોગ કરી લિવરના ઓપરેશન ચાલતું હોય ત્યારે જ કિડનીને સતત કાર્યરત રાખી તેનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

ધનશક્તિ અને યુવાશક્તિ વચ્ચે સીધો મુકાબલો:વઢવાણ તાલુકા પંચાયતમાં 48માંથી 17 ઉમેદવાર યુવાન : માત્ર 2 કોલેજનું પગથિયું ચઢ્યા, 15 અભણ

સુરેન્દ્રનગર વઢવાણ તાલુકા પંચાયતની 16 બેઠકો પર યોજાનારી આગામી ચૂંટણી માટે મેદાનમાં ઉતરેલા 48 ઉમેદવારોના સોગંદનામાનું વિશ્લેષણ કરતા અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. રાજકીય પક્ષોએ શિક્ષિતોથી લઈને યુવાનો સુધીના સમીકરણો બેસાડ્યા છે, પરંતુ આર્થિક અને સામાજિક રીતે ઉમેદવારોમાં જમીન -આસમાનનું અંતર જોવા મળી રહ્યું છે. સુરેન્દ્રનગર વઢવાણ તાલુકા પંચાયતની 16 બેઠકો પર યોજાનારી આગામી ચૂંટણી માટે મેદાનમાં ઉતરેલા 48 ઉમેદવારોના સોગંદનામાનું વિશ્લેષણ કરતા અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. મુખ્ય પક્ષોમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેના આ જંગમાં સૌથી વધુ ધ્યાન ઉમેદવારોની લાયકાત અને તેમની મિલકતો પર કેન્દ્રિત થયું છે.સૌથી વધુ અને ઓછી ઉંમરનું ગણિતમાં આ ચૂંટણીમાં યુવા લોહી અને અનુભવનો સંગમ જોવા મળી રહ્યો છે. વિશ્લેષણ મુજબ, જિલ્લા પંચાયતની આ રેસમાં સૌથી યુવાન ઉમેદવાર માત્ર 22 વર્ષના છે, જે લોકશાહીમાં યુવાનોની વધતી ભાગીદારી દર્શાવે છે. તેની સામે સૌથી વધુ ઉંમરના ઉમેદવાર 63 વર્ષના છે, જેઓ દાયકાઓનો રાજકીય અનુભવ ધરાવે છે. શિક્ષણ અંગૂઠા છાપ’ થી લઈને ગ્રેજ્યુએટ સુધીના મેદાનમાં શૈક્ષણિક લાયકાતની દ્રષ્ટિએ ઉમેદવારોમાં મોટું અંતર છે. સંપત્તિ અને દેવું 1 લાખ થી 9 લાખ સુધીની મિલકત આર્થિક વિશ્લેષણમાં ભારે વિરોધાભાસ જોવા મળ્યો છે. સૌથી શ્રીમંત ઉમેદવાર પાસે 2,53,50,000 બે કરોડથી વધુની જંગમ અને સ્થાવર મિલકત છે. જ્યારે આશ્ચર્યજનક રીતે, એક ઉમેદવાર પાસે સોગંદનામા મુજબ માત્ર 0 જ છે. લોનની વાત કરીએ તો, એક ઉમેદવાર પર 9,50,000થી વધુનું દેવું છે. ક્રિમિનલ રેકોર્ડ પુરુષો સામે કેસ, મહિલાઓ બેદાગવઢવાણ તાલુકા પંચાયતની 16 બેઠક પરના 48 દાવેદારોમાં ગુનાહીત ઇતિહાસ તપાસતા માત્ર એક જ ઉમેદવાર જે પુરૂષ ઉમેદવાર છે તેમના પર કેસ નોંધાયેલ છે.જ્યારે 20 માથી એક પણ મહિલા સામે કેસ નોધાયેલો નથી 27 પુરૂષ ઉમેદવાર સામે ગુનો નથી નોંધાયેલો 48 માંથી 15 ઉમેદવાર અભણ વઢવાણ તાલુકા પંચાયતની 16 બેઠક પર 48 દાવેદાર છે જેમાં 15 અભણ છે 28 ઉમેદવાર માત્ર પ્રાથમિક શિક્ષણ મેળવ્યુ છે, 4 ઉમેદવારે ઉચ્ચ માધ્યમીક જેટલો અભ્યાસ કર્યો જ્યારે માત્ર 2 ઉમેદવાર ગ્રેજ્યુએટ થયેલા છે. બે બેઠકો પર ભાજપ બીન હરીફ 16માંથી 12 બેઠકપર ત્રિપાંખીયો અને 4 બેઠકપર ચોપાંખીયો જંગ સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકાપંચાયતમાં મેમકા મકવાણા રેખાબેન કમલેશભાઇ ભાજપ અને રામપરા કાનજીભાઇ રણછોડભાઇ ચાવડા બીન હરીફ વિજેતા થયા છે. જેમાં 12 બેઠકપર ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે સીધી ટક્કર છે.જ્યારે બાળા અપક્ષ રાજપર અપક્ષ વડોદ અપક્ષ વસ્તડી અપક્ષ ઉભા રહેતા ચાર બેઠકોપર ચોપાંખીયો ચૂંટણી જંગ જામશે

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

હજુ જમી સંપાદિતનો વિવાદ:કેનાલનો 300 મીટરનો ભાગ બાકી, 200 ખેડૂતને સીધી અસર

સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ખારવા રોડ પર આવેલી કેનાલનું કામ છેલ્લા 14 વર્ષથી અધૂરું રહેતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. માત્ર 300 મીટરનો ભાગ બાકી હોવા છતાં કામ પૂર્ણ ન થતાં અંદાજે 5000 વીઘા જમીન સિંચાઈના પાણીથી વંચિત રહી છે. હજુ જમીન સંપાદિત કરવાનો વિવાદ ચાલુ છે. આ પરિસ્થિતિને કારણે લગભગ 200 જેટલા ખેડૂતોને સીધી અસર પહોંચી છે. પાણીના અભાવે ખેડૂતોને પાક ઉગાડવામાં ભારે તકલીફ પડી રહી છે, જેના કારણે ખેતી ખર્ચ વધ્યો છે અને આવકમાં ઘટાડો થયો છે. આ અંગે ખેડૂત આગેવાન વિક્રમસિંહ મહેન્દ્રસિંહ વગેરેએ જણાવ્યું કે ખેડૂતો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી. જો આ કેનાલનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તો ખેડૂતોને મોટી રાહત મળી શકે તેમ છે. ખેડૂતોમાં તંત્ર પ્રત્યે નારાજગી વધી રહી છે અને જલ્દી ઉકેલ ન આવે તો આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી રહી છે. વિવાદિત જમીનના નાણા મૂળ માલિકને ચૂકવાશેઆ 300 મીટરનો ભાગ બાકી છે. જેમાં જમીન સંપાદિત કરવામાં વિવાદ છે. આ વિવાદિત જમીનના નાણાં મૂળ માલિકને ચૂકવી કેનાલની ની કામગીરી ઝડપી ચાલુ કરી દેવામાં આવશે. - સી.બી. પરમાર, નાયબ કાર્યપાલક ઈજનેર, નર્મદા વિભાગ

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

3 વૃક્ષમિત્રનો શ્રમયજ્ઞ:રોજ 3 કલાકના પરિશ્રમથી 200થી વધુ‎વૃક્ષો ઉછેરી બનાવ્યો ઓક્સિજન પાર્ક‎

મન હોય તો માળવે જવાય આ કહેવતને ધ્રાંગધ્રાના 3 સિનિયર સિટીઝનોએ અક્ષરશઃ સાર્થક કરી બતાવી છે. શહેરના તળાવની પાળ પર જ્યાં કચરાના ઢગલા અને ઉકરડા હતા, ત્યાં આજે પક્ષીઓનો કલરવ અને હરિયાળી જોવા મળે છે. 3 વર્ષના સતત શ્રમ અને મક્કમ નિર્ધારથી આ વડીલોએ વેરાન જગ્યાને લોકો માટે હરવા-ફરવા લાયક સુંદર વન બનાવી દીધું છે. ધ્રાંગધ્રા તળાવની પાળ પરથી રોજ સવારે વોકિંગ માટે પસાર થતા 3 મિત્ર - અજીતસિંહ ઝાલા, નટુભાઈ દલવાડી અને ડુંગરભાઈના મનમાં અહીં ફેલાયેલી ગંદકી જોઈને દુઃખ થતું હતું. તેમણે આ જગ્યાનો કાયાકલ્પ કરવાનું મન બનાવ્યું અને પોતાના ખર્ચે કોદાળી, પાવડા અને ડોલ જેવા સાધનો વસાવ્યા. કોઈપણ સરકારી મદદ વગર, તેમણે રોજ સવારે 3 કલાક સખત પરિશ્રમ કરી કચરાના ઢગલા દૂર કર્યા અને સાફ-સફાઈ હાથ ધરી. છેલ્લા 3 વર્ષના અવિરત શ્રમ બાદ આજે આ જગ્યા પર 200થી વધુ ઘટાદાર વૃક્ષો લહેરાઈ રહ્યા છે. જે જગ્યા પર કોઈ જવાનું પસંદ નહોતું કરતું, તે આજે ધ્રાંગધ્રા માટે એક ઓક્સિજન પાર્ક અને પિકનિક પોઈન્ટ બની ગઈ છે. ધ્રાંગધ્રાના આ ત્રણ રત્નોએ સાબિત કર્યું છે કે ઉંમર માત્ર એક આંકડો છે, જો સંકલ્પ શક્તિ મજબૂત હોય તો સમાજમાં મોટું પરિવર્તન લાવી શકાય છે. આ વન માત્ર વૃક્ષોનો સમૂહ નથી, પરંતુ સેવા અને સમર્પણનું જીવંત ઉદાહરણ છે. આવનાર સમયમાં પર્યાવરણ ગંભીર સમસ્યા બનશે, દરેકે વૃક્ષારોપણ કરવું જોઈએઆ અંગે અજીતસિંહ ઝાલા અને સાથીદારોએ જણાવ્યું હતું કે, આવનાર સમયમાં પર્યાવરણ એક ગંભીર સમસ્યા બનવાની છે, ત્યારે દરેક નાગરિકે વૃક્ષારોપણ કરવું જોઈએ. અમે લોકોની સુખાકારી અને છાંયો મળે તે હેતુથી આ કામગીરી કરી છે અને આગળ પણ આ શ્રમયજ્ઞ ચાલુ રાખીશું.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

પાલનપુર નગરપાલિકા ચૂંટણી 2026:મતદાન મથક પર કેટલા વોટ આપવાના છે તે અંગે નોટિસ બોર્ડ અને અધિકારીઓ જણાવી દેશે

પાલનપુર નગરપાલિકાની ચૂંટણી રવિવારે યોજાનાર છે. વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. EVM મશીનો પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. ઉમેદવારોના ચિન્હો લગાવવાની કામગીરી સોમવારે જગાણા ખાતે આવેલા સ્ટ્રોંગ રૂમમાં ઉમેદવારોની હાજરીમાં પૂર્ણ કરી હતી. શહેરના કુલ 11 વોર્ડમાં યોજાનારી ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ, આપ સહિત અન્ય રાજકીય પાર્ટીઓ તેમજ અપક્ષ ઉમેદવારો અંતિમ તબક્કાનો પ્રચાર કરી રહ્યા છે. કેટલાક વોર્ડમાં બેઠકો બિનહરીફ જાહેર થતાં મતદાન પ્રક્રિયામાં મતદારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ભાસ્કર દ્વારા ખાસ માર્ગદર્શિકા રજૂ કરવામાં આવી છે. એક્સપર્ટની મદદથી તૈયાર કરાયેલી આ સરળ પ્રશ્નોત્તરી મતદારોને મતદાન પ્રક્રિયા સમજવામાં સહાયરૂપ બનશે. મતદાન મથક પર કેટલા વોટ આપવાના છે તે અંગે નોટિસ બોર્ડ અને અધિકારીઓ જણાવી દેશે પ્રશ્ન: મારા વોર્ડમાં 4માંથી 3 સભ્યો બિનહરીફ થયા છે, તો શું મતદાન કરવું ? જવાબ: હા. જો એકપણ બેઠક પર ચૂંટણી હોય તો મતદાન કરવું જોઈએ. પ્રશ્ન: EVM પર બિનહરીફ ઉમેદવારોના નામ દેખાશે ? જવાબ: ના. બિનહરીફ ઉમેદવારોના નામ કે નિશાન મશીનમાં નહીં હોય. પ્રશ્ન: કેટલા વોટ આપવાના તે કેવી રીતે ખબર પડે ? જવાબ: મતદાન મથક પર નોટિસ બોર્ડ અને અધિકારીઓ જણાવી દેશે કે કેટલા વોટ આપવાના છે. પ્રશ્ન: ભૂલથી વધુ ઉમેદવારોને વોટ આપવાનો પ્રયાસ કરું તો ? જવાબ: મશીન વધારે વોટ લેતું જ નથી, એટલે ચિંતા કરવાની જરૂર નથી. પ્રશ્ન: એક જ ઉમેદવારને બે વાર વોટ આપી શકું ? જવાબ: ના. એક ઉમેદવારને માત્ર એક જ વાર વોટ આપી શકાય. પ્રશ્ન: વોટ આપ્યા પછી શું કરવું ? જવાબ: પસંદના ઉમેદવારનું બટન દબાવી પછી ‘Register’ બટન દબાવવું જરૂરી છે. પ્રશ્ન: ‘બીપ’ અવાજ ક્યારે આવશે ? જવાબ: ‘Register’ બટન દબાવ્યા પછી લાંબો બીપ આવે છે, એ જ વોટની ખાતરી છે. પ્રશ્ન: ‘Register’ દબાવ્યા વગર બહાર નીકળી જાઉં તો ? જવાબ: તમારો વોટ ગણાશે નહીં. અધિકારી તમને ફરીથી પ્રક્રિયા પૂર્ણ કરાવશે. પ્રશ્ન: બિનહરીફ સભ્યોના વોટ ગણાશે? જવાબ: ના. તેઓ પહેલાથી જ વિજેતા જાહેર થઈ ગયા છે. પ્રશ્ન: કોઈ ઉમેદવાર પસંદ ન હોય તો શું કરવું ? જવાબ: તમે NOTA બટન દબાવી શકો છો. પ્રશ્ન: લાલ લાઈટ ક્યારે થાય છે ? જવાબ: જ્યારે તમે કોઈ ઉમેદવારનું બટન દબાવો ત્યારે તેની સામે લાલ લાઈટ થાય છે. પ્રશ્ન: શાહી લગાવવી ફરજિયાત છે ? જવાબ: હા. એક જ વોટ આપો તો પણ આંગળી પર શાહી લગાવવામાં આવશે. પ્રશ્ન: બધા 4 સભ્યો બિનહરીફ હોય તો શું ? જવાબ: તો તમારા વોર્ડમાં મતદાન નહીં થાય, જવાની જરૂર નથી. પ્રશ્ન: મતદાન માટે કયા દસ્તાવેજ જોઈએ ? જવાબ: વોટર આઈડી અથવા [આધાર કાર્ડ રેડાક્ટેડ], પાન કાર્ડ જેવા માન્ય પુરાવા. પ્રશ્ન: મશીન બગડે તો મારો વોટ રદ થશે ? જવાબ: ના. ડેટા સુરક્ષિત રહે છે અને નવું મશીન મૂકીને ફરી મતદાન કરાવાશે. નોંધ: આ સામાન્ય માર્ગદર્શન છે. અંતિમ નિયમો માટે રાજ્ય ચૂંટણી પંચ, સ્થાનિક અધિકારીની સૂચનાઓ જ માન્ય રહેશે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

તપાસ:હૈદરાબાદમાં જે નવજાત બાળકી રૂપિયા 1.80 લાખમાં વેચાઈ તે હજુ પોલીસને મળી જ નહીં

સમગ્ર જિલ્લામાં હાહાકાર સર્જનાર નવજાત બાળકીને વેચવાના મામલામાં પોલીસ હજુ સુધી બાળકીને પરત મેળવી શકી નથી અને જેને હૈદરાબાદમાં સોંપી હતી તે દંપતી પણ હજી સુધી પોલીસના હાથ લાગ્યું નથી. પોલીસ ટીમો હાલમાં તેલંગણા સહિત અન્ય રાજ્યોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે અને ગેંગ સાથે જોડાયેલા દરેક લિંક સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. અત્યાર સુધીમાં મુખ્ય સૂત્રધાર સહિત કેટલાક આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે, છતાં બાળકી અને અંતિમ ખરીદદારો સુધી પહોંચવું સૌથી મોટો પડકાર બન્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે આ કેસમાં અનેક રાજ્યો વચ્ચે સંકલન સાથે તપાસ ચાલી રહી છે અને વધુ મહત્વપૂર્ણ વિગતો આગામી દિવસોમાં જાહેર કરાશે. બીજી તરફ આ કેસમાં ખુલાસો થયો છે કે બાળકીનો જન્મ થયા બાદ તરત જ સોદો ગોઠવ્યો હતો અને એજ દિવસે તેને લઈ જવાઈ હતી. એટલે કે દીકરી નવજાત જન્મના થોડા જ દિવસની અંદાજે 1થી 2 દિવસની હતી. શૈલેષ ગમાર અને પાબુ ભગોરાની ધરપકડ બાદ પૂછપરછમાં કિશોરનું નામ સામે આવ્યું હતું. તપાસ દરમિયાન પાલનપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચે તેને મુદ્દામાલ સાથે ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો. દાંતા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ કિશોર નવજાત બાળકીના સોદામાં મહત્વનો કડી હતો, જે હૈદરાબાદમાં વેચાણ બાદ મળેલી રકમમાંથી બાકી રહેલા પૈસા શૈલેષને અને પાબુ મારફતે બાળકીના પિતા સુધી પહોંચાડવાનો હતો. પોલીસે શૈલેષ અને પાબુના મોબાઇલમાંથી મળેલા ફોટા, વોટ્સએપ ચેટ અને ટેકનિકલ પુરાવાના આધારે તેની સંડોવણી સુધી પહોંચી શકી, જેનાથી સમગ્ર નેટવર્કનો ખુલાસો થયો હતો. બાળકના પિતાને લલચાવી સોદો કરાયો શૈલેષે દાંતાના કાસા ગામના આદિવાસી યુવકને તેની પત્ની ડિલિવરી પછી બાળક વેચવા માટે સમજાવ્યો હતો. બાળકીના જન્મ બાદ પિતાએ આર્થિક લાલચમાં આવી નવજાતને વેચાણ માટે તૈયાર થઈ ગયો હતો. નવજાત બાળકીના ફોટા વ્હોટ્સએપથી મોકલ્યા શૈલેષે નવજાત બાળકીના ફોટા વોટ્સએપથી હૈદરાબાદના મુરગન અને શિવારાનીને મોકલાયા હતા. ત્યારબાદ રૂ.1.80 લાખમાં સોદો નક્કી થયો. આ સોદામાં અનેક એજન્ટો વચ્ચે કમિશન વહેંચાયું હતું.સોદાની રકમમાંથી દીકરીના પિતાને રૂ.70,000 આપ્યા. શૈલેષે રૂ.20,000 કમિશન રાખ્યુ અને પાબુએ પણ પોતાનો ભાગ લીધો. બાકી રકમ અલગ તબક્કામાં ચૂકવાઈ હતી.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

ચકચાર:98 વર્ષના સંતને લઈ જતી કારને વાડામાં લઈ જઈ 2 કલાક ગોંધી રાખી લૂંટ ચલાવી

પાલનપુરમાં હનુમાન ટેકરી નજીક 98 વર્ષના બીમાર સંતને અમદાવાદ સારવાર માટે લઈ જતી કારને એક્ટિવા સવાર બે શખ્સોએ રોકી હતી. ગાડીના હપ્તાના નામે ડ્રાઈવર, સેવક અને સંતને વાડામાં લઈ જઈ બે કલાક સુધી ગોંધી રાખ્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ.32 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લૂંટ ચલાવી હતી. રાજસ્થાનના સિરોહીના જ્યોતિષાચાર્ય અંકિત રાવલ તેમના ગુરુજી સંત ભગવાનગીરી મહારાજને કારમાં અમદાવાદ હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. તેમને છેલ્લા 5 વર્ષથી અસ્થમાની બીમારી હતી.ત્યારે મંગળવાર સવારે 11 વાગ્યાના સુમારે પાલનપુર હનુમાન ટેકરી નજીક એક્ટિવા પર આવેલા બે અજાણ્યા શખ્સોએ કારને ઊભી રખાવી હતી. આરોપીઓએ ગાડીના હપ્તા બાકી હોવાનું કહી ડ્રાઈવર જીતેન્દ્રકુમારને નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ કારને બળજબરીપૂર્વક રિદ્ધિ સિદ્ધિ પાર્ટી પ્લોટ પાછળ આવેલા વાડામાં લઈ જઈ ફરિયાદી, ડ્રાઈવર અને સાક્ષીઓને બે કલાક સુધી ગોંધી રાખ્યા હતા. આ દરમિયાન આરોપીઓએ ડ્રાઈવરને જાનથી મારી નાખવાની ધમકી આપી તેના મોબાઈલમાંથી ગુગલ પે મારફતે રૂ.32,120 ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. દરમિયાન અંકિતભાઈએ તેના સગાને ફોન કર્યો હતો. સગાએ પોલીસને જાણ કરી પોલીસે લાઈવ લોકેશન માગતા અંકિતભાઈએ લોકેશન મોકલ્યું હતું. ત્યારબાદ 10થી 15 મિનિટમાં પોલીસ પહોંચતા આરોપીઓ ફરાર થઈ ગયા હતા.પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે CCTV ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપીને ઓળખ કરી લીધી છે-PI પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, કંપનીના માણસોએ હપ્તાના પૈસા સ્થળ પર જ લઈ લેવા જોઈએ, પરંતુ તેમને ગાડી અન્ય જગ્યાએ લઈ જઈને હપ્તા વસુલી કરી છે. જેથી બે લોકો સામે ગુનો નોંધ્યો છે. તેમને પકડવા માટે બે ટીમો બનાવી છે. આરોપીની ઓળખ થઈ ગઈ છે. બંને આરોપીઓને ઝડપી લેવાશે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

આચાર સંહિતાનો ભંગ:બસપોર્ટની ટીવી સ્ક્રીન પર સરકારી જાહેરાતો

લોકશાહીના પર્વ સમાન ચૂંટણીની જાહેરાત થતા જ આદર્શ આચાર સંહિતા અમલમાં આવી જાય છે, જેમાં સરકારી મિલકતો અને જાહેર સ્થળો પર રાજકીય નેતાઓના ફોટા કે પ્રચાર સામગ્રી પ્રદર્શિત કરવા મનાઈ હોય છે. છતાં પાલનપુરના નવા અદ્યતન બસપોર્ટમાં હજુ પણ 3 ટીવી સ્ક્રીન પર વડાપ્રધાન અને મુખ્યમંત્રીના ફોટા સાથેની જાહેરાતો યથાવત જોવા મળી રહી છે. એસ.ટી. બસપોર્ટ જાહેર પરિવહન સેવા હોવાથી અહીં આવી વિડીઓ ક્લિપ્સ ચલાવવી સીધો આચાર સંહિતાનો ભંગ ગણાય છે. નિયમ મુજબ આચાર સંહિતા લાગુ થતા જ આવી સામગ્રી દૂર કરવાની જવાબદારી તંત્ર અને સંબંધિત વિભાગની હોય છે, પરંતુ અહીં બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે. વિપક્ષ દ્વારા ચૂંટણી પંચને લેખિત ફરિયાદ કરવાની તૈયારી પણ દર્શાવાઈ રહી છે.પાલનપુર ડેપો મેનેજર ચેતનભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, ટીવીમાં આવતી જાહેરાત બાબતે ભાસ્કરે ધ્યાન દોરતા અમે તાત્કાલિક ધોરણે સ્ક્રીન બંધ કરાવી દીધા છે. અને ચૂંટણી પૂર્ણ થયા બાદ જ આચાર સંહિતા પૂર્ણ થયા બાદ જ ટીવી ચાલુ કરાશે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

22 બેઠકો પર ત્રિપાંખિયો જંગ:બ.કાં. જિ.પં.ની 48 બેઠકોમાં 16માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ

બનાસકાંઠા જિલ્લા પંચાયતની 48 બેઠકો માટે કુલ 132 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપ, કોંગ્રેસ, આપ સહિત અપક્ષ ઉમેદવારોએ અંતિમ તબક્કાના ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.આ વખતે 16 બેઠકો એવી છે જ્યાં માત્ર બે જ મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે, જ્યારે અન્ય બેઠકો પર અપક્ષ અને આપ ના ઉમેદવારો મેદાનમાં હોવાથી ત્રિપાંખિયો કે બહુપાંખિયો જંગ ખેલાશે. જેમાં અંબાજી, દાંતા, કાલેડા અને ખડોલ જેવી મહત્વની બેઠકો પર આમ આદમી પાર્ટીએ ઉમેદવારો ઉતારીને જંગને રસાકસીભર્યો બનાવ્યો છે. 16 બેઠકો પર ભાજપ- કોંગ્રેસ વચ્ચે જંગ અમીરગઢ, આસેડા, ભાખર મોટી, ચડોતર, ચંડીસર, છાપી, દલપુરા, દાંતીવાડા, ગઢ, જડિયા, ઝેરડા, કપાસીયા, ખંઢોર ઉમરી, મલાણા, માલગઢ, અને વરણ. 22 બેઠકો ઉપર ત્રિપાંખિયો જંગ અંબાજી, ભાભર, દાંતા, ધાણા, ઈકબાલગઢ, જગાણા, જલોત્રા, જુનાડીસા, કાલેડા, કાણોદર, ખીમત, મડાણા ગઢ, મુડેઠા, નવાવાસ, નેસડા, પાંથાવાડા, રંગપુર, સમોમોટા, શિહોરી, તાણા, તેરવાડા અને વિરમપુર. 10 બેઠકો પર 4થી વધુ ઉમેદવારો 4 ઉમેદવાર: બસુ, કુચાવાડા, માલણ, થાવર, વડા અને વાલેર. 5 ઉમેદવાર: મેમદપુર અને વડગામ. 6 ઉમેદવાર: ખીમત

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

રેસ્ટોરાંની 52 કરોડની ટેક્સ ચોરી પછી GST વિભાગ સક્રિય:UPIથી પર્સનલ ખાતામાં પેમેન્ટ લેનારા વેપારીનો ડેટા એકઠો કરાશે; યુપીઆઈ ડેટા અને રિટર્નનું મેચિંગ કરી નોટિસ અપાશે

રાજ્યમાં વધી રહેલા ક્યુઆર કોડ અને યુપીઆઈ ટ્રાન્ઝેક્શન હવે ટેક્સ ચોરી પકડવાનું શક્તિશાળી હથિયાર બન્યા છે. તાજેતરમાં રેસ્ટોરાંની 52 કરોડની કરચોરી પકડાયા વિભાગે તપાસ તેજ કરી છે. ઘણા વેપારીઓ ગ્રાહકો પાસેથી બિઝનેસ એકાઉન્ટને બદલે વ્યક્તિગત યુપીઆઈ પર પેમેન્ટ લઈ વેચાણ છુપાવે છે અને તેને રિટર્નમાં દર્શાવતા નથી. વિભાગ હવે બેંકો અને પેમેન્ટ ગેટવે પાસેથી ડેટા મેળવીને તેને વેપારીઓના જીએસટી રિટર્ન સાથે સરખાવી રહ્યો છે. જ્યાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને જાહેર કરાયેલા વેચાણમાં મોટો તફાવત જણાશે તો નોટિસ ફટકારાશે. પાકાં બિલ ન આપી ટેક્સ ચોરી કરાય છે ડેટાને AI દ્વારા GST રિટર્ન સાથે મેચ કરાશે

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

મતદારોનું સમીકરણ:ગામ વિસ્તારો ભળતાં મનપાના વોર્ડ 8-11માં જ્ઞાતિ અને સીમાંકનથી બદલાયું ચૂંટણી ગણિત

મહેસાણા નગરપાલિકા સમયના જૂના વોર્ડોમાં ફેરફાર કરીને બનાવાયેલા મહાનગરપાલિકાના નવા વોર્ડ નં. 8, 9, 10 અને 11માં કેટલાક ગામ વિસ્તારો ભળ્યા છે. પરંતુ, મોટાભાગનો વિસ્તાર પાલિકા સમયનો જ છે. મનપાના કુલ 13 વોર્ડમાંથી વોર્ડ નં.10માં સૌથી ઓછા 9898 મતદારો છે. જ્યારે વોર્ડ નં. 9માં જૂના વોર્ડ નં.9ની સરખામણીએ 3466 મતદારોનો વધારો નોંધાયો છે. તેથી ઉમેદવારોએ બદલાયેલા સીમાંકનવાળા વોર્ડોમાં મતો મેળવવા વધુ મહેનત કરવી પડશે. વોર્ડ નં.8 : નગરપાલિકાની ગત ટર્મમાં પ્રમુખ અને ઉપપ્રમુખ આ વિસ્તારના હતામનપાના નવા વોર્ડ નં.8માં 5679 પુરુષ અને 5344 સ્ત્રી મળી કુલ 11,023 મતદારો છે. જ્યારે જૂના વોર્ડ નં.8માં 14,857 મતદારો હતા. એટલે નવા વોર્ડમાં 3834 મતદારોનો ઘટાડો થયો છે. નવા વોર્ડ નં.8માં જૂના વોર્ડ નં.8નો કોઇ વિસ્તાર આવતો નથી. તેમાં જૂના વોર્ડ નં.6નો લગભગ 95% વિસ્તાર (માલ ગોડાઉન, એસટી વર્કશોપ રોડ, લકી પાર્ક, આંબાવાડી વગેરે) અને જૂના વોર્ડ નં.7નો આશરે 5% વિસ્તાર સમાવાયો છે. જ્ઞાતિ સમીકરણ : રાજકીય સૂત્રો મુજબ, વોર્ડમાં પટેલ 4500, પ્રજાપતિ 1100, ઠાકોર 600, પંચાલ 250, મોદી 200 મુખ્ય મતદારો છે. વોર્ડ નં.9 : દેદિયાસણના સમાવેશથી વોર્ડમાં 3466 મતદારોનો વધારો થયો મનપાના વોર્ડ નં.9માં 8676 પુરુષ અને 7907 સ્ત્રી મળી કુલ 16,583 મતદારો છે. જૂના વોર્ડ નં.9માં 13,117 મતદારો હતા. નવા વોર્ડમાં જૂના વોર્ડ નં. 9નો કોઇ વિસ્તાર નથી. તેમાં જૂના વોર્ડ નં.7નો મોટો વિસ્તાર (મોહનનગર, વીઆઇપી નગર, સરદારધામ જીઆઇડીસી વગેરે) અને દેદિયાસણ ગામનો સમાવેશ થાય છે. જ્ઞાતિ સમીકરણ : રાજકીય સૂત્રો મુજબ, પટેલ 5000, પ્રજાપતિ 500, ઠાકોર 600, મુસ્લિમ 1300 મુખ્ય મતદારો છે. વોર્ડ નં.10 : મનપામાં મતદારોની‎દૃષ્ટિએ આ સૌથી નાનો વોર્ડ છે‎મનપાના વોર્ડ નં.10માં 5142 પુરુષ અને 4756 સ્ત્રી મળી કુલ 9,898‎મતદારો છે. જૂના વોર્ડ નં.10માં 12,947 મતદારો હતા. એટલે 3049‎મતદારોનો ઘટાડો થયો છે. નવા વોર્ડમાં જૂના વોર્ડ નં.10નો કોઇ‎વિસ્તાર નથી. તેમાં જૂના વોર્ડ નં.8નો વિસ્તાર (વાઇડ એન્ગલ રોડ,‎વર્ધમાનનગર, ગીતાંજલી વગેરે) તેમજ હેડુવા રાજગર ગામનો‎સમાવેશ થાય છે.‎ જ્ઞાતિ સમીકરણ : રાજકીય સૂત્રો મુજબ, પટેલ 1700, પ્રજાપતિ 1500,‎ઠાકોર 600, રબારી 370, રાવળ 250 મુખ્ય મતદારો છે.‎ વોર્ડ નં.11 : પ્રજાપતિ અને બ્રાહ્મણ બહુમતીથી મુકાબલો રસપ્રદ બનશે વોર્ડ નં.11માં 6163 પુરુષ અને 5701 સ્ત્રી મળી કુલ 11,864 મતદારો છે. જૂના વોર્ડ નં.11માં 12,916 મતદારો હતા. એટલે કે, 1052 મતદારોનો ઘટાડો થયો છે. નવા વોર્ડમાં જૂના વોર્ડ નં.11નો કોઇ વિસ્તાર નથી. તેમાં જૂના વોર્ડ નં.9નો આશરે 90% વિસ્તાર (સુખેશ્વર, ચકેશ્વરી ફ્લેટ, વિરમગામ રેલ લાઇન, ટીબી હોસ્પિટલ રોડ વગેરે) અને જૂના વોર્ડ નં.8નો આશરે 10% વિસ્તાર (સરદાર પાર્ક, પશાભાઈ પેટ્રોલ પંપ વિસ્તાર) સામેલ છે. જ્ઞાતિ સમીકરણ : રાજકીય સૂત્રો મુજબ, પ્રજાપતિ 2200, જૈન 1000, બ્રાહ્મણ 1500, બારોટ 700, પટેલ 600, ઠાકોર 500, મોદી 500 મુખ્ય મતદારો છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

ભાજપનો કોપી-પેસ્ટ સંકલ્પ:મનપા બજેટ બન્યું ભાજપનો ઢંઢેરો : બજેટના 32 પૈકી 25 કામો હાલ ચાલુ, રિવરફ્રન્ટનું 15 વર્ષથી ઠેકાણું નથી

ભાજપ દ્વારા મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી માટે જાહેર કરાયેલા ઘોષણાપત્રમાં દર્શાવાયેલા મોટાભાગના વિકાસ કામો પહેલેથી જ ચાલુ છે, જ્યારે બાકીના કામો ટૂંક સમયમાં શરૂ થવાના છે. ભાજપનું આ સંકલ્પ પત્ર મનપાના બજેટમાં સમાવાયેલ મહત્વના કામોને જ ઉઠાવીને તૈયાર કરવામાં આવ્યું છે. નવા પ્રોજેક્ટ તરીકે કોઈ કામ સંકલ્પ પત્રમાં નજરે પડતું નથી. ઢંઢેરામાં એક કામ આધુનિક મ્યુઝિયમ બનાવવાનો પ્રોજેક્ટ નવું દેખાય છે. જોકે, ઇન્ટરપ્રિટેશનની સાથે લેવાયું છે, આ ઇન્ટરપ્રિટેશન મનપાના બજેટમાં છે. મનપાએ જે કામો માટે બજેટ ફાળવ્યું છે, તેમાંથી મોટા ભાગના કામોને ભાજપે પોતાના ઘોષણાપત્રમાં સમાવેશ કર્યો છે. નોંધનીય બાબત એ છે કે, રિવરફ્રન્ટ પ્રોજેક્ટ છેલ્લા ત્રણ ટર્મથી ભાજપ શાસિત નગરપાલિકા સમયથી દર વર્ષે બજેટમાં સામેલ થાય છે. આ વર્ષે પણ મનપાના બજેટમાં તેની જોગવાઈ છે અને હવે તે ભાજપના ચૂંટણી ઘોષણાપત્રમાં પણ સામેલ છે. સંકલ્પપત્રમાં નવા કામો પણ છે : પ્રમુખ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા સંકલ્પ પત્રમાં રજૂ કરાયેલા તમામ કામો પૈકી મનપાએ મોટાભાગના વિકાસના કામો શરૂ કરી દીધા છે અને કેટલાક કામોનો નવા તાજેતરમાં રજૂ કરાયેલા બજેટમાં પહેલાથી જ સમાવેશ કરાયો છે તો નવી બોડી આવીને શું કરશે? પ્રશ્નના જવાબમાં જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશ રાજગોરે નવા કામો પણ એમાં છે તેમ કહ્યું હતું.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

મુસાફરોને મુશ્કેલી:સ્પાઈસ જેટની 3 ફ્લાઈટ ગ્રાઉન્ડ કરાઈ, અટવાયેલા 500 પેસેન્જરનો હોબાળો

સ્પાઈસ જેટની 3 ફ્લાઈટમાં મંગળવારે ટેક્નિકલ ખામી સર્જાતા ગ્રાઉન્ડ કરવી પડી હતી. જેને કારણે આ ફ્લાઈટો અમદાવાદ આવી ન હતી. જેને કારણે અમદાવાદથી ચેન્નઈ અને હૈદરાબાદ જતી ફ્લાઈટ રદ કરી દેવામાં આવી હતી. વહેલી સવારે એરપોર્ટ પર પહોંચી ગયેલા 500થી પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો. પેસેન્જર અને ગ્રાઉન્ડ સ્ટાફના કર્મચારીઓ આમને સામને આવી જતાં સીઆઈએસએફે મામલો થાળે પાડ્યો હતો. અમદાવાદથી ચેન્નઈની સવારે 6 વાગ્યા, હૈદરાબાદની 7 વાગ્યા અને દિલ્હીની સવારે 8 કલાકે રવાના થનારી 3 ફ્લાઈટને ઉડાન ન ભરતા પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો. કલાકો સુધી ચાલેલી માથાકૂટ બાદ બંને ફ્લાઈટ રદ થતાં પેસેન્જરોને ધક્કો પડ્યો હતો. દિલ્હી ફ્લાઈટ સાંજે 5 વાગ્યે રવાના થઈ હતી. જ્યારે મુંબઈની સવારે 8.30ની ફ્લાઈટ રાત્રે 9 વાગ્યે ટેકઓફ થઈ હતી. ઘણા પેસેન્જરોએ ટિકિટ રદ કરાવી બીજી ફ્લાઈટમાં ગયા હતા. વિલંબનું કારણ: સ્પેર પાર્ટ્સ માટે વિદેશ પર નિર્ભરતાસ્પાઇસ જેટે યુરોપિયન દેશની ‘સ્માર્ટ વિંગ્સ’ કંપની પાસેથી વિમાનો લીઝ પર લીધેલા છે. નિયમ મુજબ, જો આ વિમાનોમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાય, તો તેના સ્પેર પાર્ટ્સ વિદેશથી જ મંગાવવા પડે છે. જેને કારણે શિડ્યુલ પર અસર પડે છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

ઓનલાઇન માઇક્રો ક્રાઉડફંડિગ:પ્રચાર માટે પ્રજાના પૈસાનો સહારો; પક્ષ તરફથી ફંડ ન મળતાં ચાંદખેડા, મકતમપુરા, સરસપુર-રખિયાલના ઉમેદવારોએ QR મૂક્યા

મ્યુનિ.ની ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે, પણ ચાંદખેડા, મકતમપુરા, સરસપુર, ગોમતીપુરના ઉમેદવારો પાસે પ્રચાર માટે પૂરતું ભંડોળ ન હોવાથી તેમણે ઓનલાઇન માઇક્રો ક્રાઉડફંડિગનો સહારો લીધો છે. એટલે કે તેમને કોઈ પણ સમર્થક નાનીથી માંડી મોટી રકમ સુધી મદદ કરી શકે છે. ગોમતીપુરના અપક્ષ ઉમેદવાર આમીર પઠાણના પ્રચાર માટે મિત્રો આગળ આવ્યા છે. કોઈ મિત્ર મંડપ, કાર્યાલય તો કોઈ નાસ્તાનો ખર્ચ ઉઠાવી રહ્યો છે. ગત ચૂંટણીમાં 10 ટકા ઉમેદવારે જ ખર્ચ બતાવ્યો2021ની ચૂંટણીમાં જીતેલા 192 ઉમેદવારમાંથી 10 ટકા ઉમેદવારે જ ચૂંટણી ખર્ચ રજૂ કર્યો હતો. જ્યારે 50થી વધુ ડમી ઉમેદવારોએ હિસાબ રજૂ કર્યો નથી. નિયમ મુજબ ખર્ચ રજૂ ન કરનારા ઉમેદવારને છ વર્ષ માટે ગેરલાયક ઠેરવાય છે. મિત્રોની પણ મદદ કોઈ કાર્યાલયનો તો કોઈ નાસ્તાનો ખર્ચ ઉઠાવે છે આવકનો સ્ત્રોત નથી, એટલે ક્રાઉડફંડિંગ કર્યુંસરસપુર-રખિયાલ વોર્ડમાંથી કોંગ્રેસના ઉમેદવાર કમલેશ કટારિયાને ડેકોરેશનનો વ્યવસાય છે. તેમણે જણાવ્યું કે, એક્ટિવિસ્ટ તરીકે 10 વર્ષથી કામ કરું છું. આવકનો સ્ત્રોત મર્યાદિત હોવાથી ચૂંટણીમાં પ્રચાર કરવામાં તકલીફ પડે છે. આટલી મોટી પાર્ટી સામે લડવા પ્રચાર કરવા ફંડ જરૂરી હોવાથી ક્રાઉડફંડિંગ કર્યું માતાપિતાના પેન્શનથી ઘરનું ગુજરાન ચાલે છેમકતમપુરાના કોંગ્રેસના ઉમેદવાર હિતેન્દ્ર પીઠડિયા હાલ સોશિયલ મેનેજમેન્ટમાં પીએચડી કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, 2014થી નોકરી છોડીને સામાજિક કાર્યકર તરીકે કામ કરું છું. જેના લીધે માતાપિતાનાં પેન્શનમાંથી ઘરનું ગુજરાન ચાલે છે. ચૂંટણી લડવા ફંડની જરૂર હોવાથી લોકોની મદદ લીધી. પ્રચાર માટે ફંડ ન મળતાં લોકો પાસેથી ઉઘરાવે છેચાંદખેડા વોર્ડમાંથી કોંગ્રેસના ઉમેદવાર સુબોધ કુમુદ પ્રજા પાસેથી ક્રાઉડફંડિંગ મેળવી ચૂ્ંટણી લડી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, વકીલાતના વ્યવસાયમાંથી આવું છું અને સેવા કેન્દ્ર શરૂ કર્યું છે. જેમાં લોકોને વિનામૂલ્યે કાનૂની સલાહ આપું છું. પ્રચાર માટે ફંડ મળ્યું ન હોવાથી લોકો પાસેથી ફંડ ઉઘરાવવાની જરૂર પડી છે. 3 દિવસમાં 15 હજારથી વધુનું ભંડોળ એકત્રિતમકતમપુરા વોર્ડમાં AIMIMના ઉમેદવાર રાકેશ મહેરિયા ખાણીપીણી વ્યવસાય સાથે સંકળાયેલા છે અને ભાડે રહે છે. હાલની આવકથી માંડ ઘર ચાલે છે. તેમણે પ્રચાર કરવા માટે બે લાખ જેટલું ક્રાઉડફંડિંગ ઉઘરાવવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં લોકોએ તેમને રૂ.15 હજાર ફંડ આપ્યું છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

ભાસ્કર વિશેષ:મેડિકલ શિક્ષણ માટે સિંધુ ભવનના બિલ્ડર પિતાનું દેહદાન કરીને પરિવારે તેમની અંતિમ ઈચ્છા પૂરી કરી

સિંધુ ભવન રોડ ઉપર આવેલા સહજાનંદ પેલેસ બંગલોઝમાં રહેતા બિલ્ડર કિશોરચંદ્ર નાગજીભાઈ પટેલ (કાનાણી) નું 79 વર્ષે અવસાન થયું હતું. તેમની અંતિમ ઇચ્છા હતી કે તેમનું શરીર મેડિકલના વિદ્યાર્થીઓ માટે દાન કરે. આ માટે તેમણે દોઢ વર્ષ પહેલાં ફોર્મ ભરી દીધું હતું. જોકે તેમના અવસાન બાદ પરિવારના સભ્યોએ પણ તેમની અંતિમ ઇચ્છા માન્ય રાખીને દેહદાન કર્યું હતું. કિશોરચંદ્ર કાનાણીના પુત્ર નિકેતન પટેલે કહ્યું હતું કે પિતા લાંબા સમયથી બીમાર રહેતા હતા. આથી તેમણે 3-4 વર્ષ પેહલાં વાતવાતમાં ‘મારા અવસાન પછી મારું શરીર હું મેડિકલના વિદ્યાર્થીઓ માટે દાન કરવા માંગુ છું’ તેમ કહ્યું હતું. છેલ્લાં એકાદ વર્ષથી તો કિશોરચંદ્રની તબિયત થોડી વધારે જ લથડવા લાગી હતી. જેના કારણે તેમને એ વાતનો અંદાજ આવી ગયો હતો કે હવે ગમે ત્યારે ધામમાં જવાનો વારો આવી જશે. આથી તેમણે એક વર્ષ પહેલાં જ પોતાના શરીરનું દાન કરવાનું ફોર્મ ભરી દીધું હતું અને પરિવારના સભ્યોને પણ કહી દીધું હતું કે આ જ મારી અંતિમ ઇચ્છા છે. આથી મારું શરીર મેડિકલના વિદ્યાર્થીઓને દાન કરજો. આથી મંગળવારે તેમનું અવસાન થતાં તેમના દેહનું જીસીએસ હૉસ્પિટલમાં દાન કરવામાં આવ્યું હતું. પરિવાર વાંધો ન ઉઠાવે એટલે ફોર્મ ભરાવાય છેજે પણ વ્યકિત અવસાન પછી અંગદાન કરવા માગતી હોય તે હૉસ્પિટલમાંથી ફોર્મ લઈ ભરીને આપી શકે છે. તેમાં જે-તે વ્યક્તિની વિગતો સાથે એક વારસ અને એક સાક્ષીની સહી લેવાય છે. આમ કરવા પાછળનું એક માત્ર કારણ એ છે કે પરિવારના સભ્યના અવસાન બાદ કોઈ વાંધો ન ઉઠાવે. અંગદાન માટે જાગૃતિ વધી, દેહદાન માટેે નહીં એલજીને 1 વર્ષમાં 12 દેહદાન જ્યારે એનએચએલ મેડિકલ કૉલેજને વર્ષે 15 દેહદાન મળ્યાં હતાં. અંગદાન માટે જાગૃતિ વધી હોવાથી અમદાવાદની સરકારી હોસ્પિટલોને વર્ષે સરેરાશ 175થી 200 જેટલા અંગદાન મળી રહ્યાં છે પરંતુ દેહદાન માટે હજી સુધી જાગૃતિનો અભાવ જોવા મળે છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:પાટણ શહેરમાં મત માગવા જતા નવા‎ચહેરાઓને મતદારોએ સમસ્યાથી ઘેર્યા‎

પાટણ નગરપાલિકાની 44 બેઠકો માટે 114 ઉમેદવારો હાલ મેદાનમાં છે,ત્યારે અનેક વોર્ડમાં ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન ભાજપ અને કોંગ્રેસ બંનેના નવા ચહેરાઓ સામે વર્ષોથી પડતર પડેલા જુના પ્રશ્નો અંગે જનતાનો આક્રોશ ઠલવાઈ રહ્યો છે.ઉમેદવારો પાસે હાલમાં જુના લોકોના ના કરેલા વર્ષોથી પડતર ગટર અને વરસાદી પાણીની સમસ્યાઓ હવે હલ કરવા માટેની હૈયા ધારણા આપવા સિવાય કોઈ જવાબો ના હોય પ્રજાના આક્રોશ વચ્ચે હૈયા ધારણા આપી હસતા ચહેરા ત્યાંથી પ્રચાર કરતા કરતા નીકળવું પડી રહ્યું છે.હવે ચૂંટણી બાદ જે ઉમેદવારો જીતશે તેવો આ વચનો પાળશે છે કે કેમ તે જોવું રહ્યું. ધાંધલની શેરીમાં ગટરના પાણી મકાનના પાયામાં ભરાતાં ઉભરો ઠાલવ્યો,ઉમેદવારે ખાતરી આપીધાંધલની શેરીમાં પ્રચાર માટે ગયેલા પૂર્વ કોર્પોરેટ અને હાલના ઉમેદવારો સમક્ષ ચંપાબેન ભીલે ઉગ્ર રજૂઆત કરી હતી. ગટરના ગંદા પાણી મકાનના પાયામાં ઘૂસતા હોવાથી મકાનો નબળા પડી રહ્યા છે અને દુર્ગંધથી જીવવું દુષ્કર બન્યું છે. ઉમેદવારે તાત્કાલિક નિરાકરણની ખાતરી આપી મામલો થાળે પાડ્યો હતો. હર્ષનગરમાં એ કહ્યું વર્ષોથી પાણી ભરાય છે ઉમેદવારે કહ્યું પાલિકા નહી કરે તો સ્વખર્ચે કામ કરાવીશ શહેરના હર્ષનગર વિસ્તારમાં વર્ષોથી ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે રહીશોએ ઉમેદવારને ઘેર્યા હતા. આ મામલે ઉમેદવારે જીત્યા બાદ પાલિકા દ્વારા આ સમસ્યાનું હલ કરવામાં આવશે.જરૂર પડે તો પોતાના ખર્ચે પણ કામ કરવાની હૈયાધારણા આપી મતદારોને રિઝવવા પ્રયાસ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

તપાસ:યુવકને હનીટ્રેપમાં ફસાવનાર યુવતી અને માસ્ટરમાઈન્ડની શોધખોળ તેજ

ચાણસ્મા નજીક હનીટ્રેપથી અપહરણના કેસમાં પોલીસે ઝડપી પાડેલા બે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.કેસમાં સંડોવાયેલી યુવતી અને ફરાર મુખ્ય સૂત્રધાર ભરત રબારીની શોધખોળ તેજ કરવામાં આવી છે,જ્યારે ગેંગે આ જ રીતથી અન્ય લોકોને પણ નિશાન બનાવ્યા હોવાની આશંકા છે. અમદાવાદના યુવકના અપહરણ અને ખંડણી કેસમાં તપાસ આગળ વધતા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. પોલીસે ઝડપેલા દિનેશ હીરાભાઈ રબારી અને કરણજી કનુજી ઠાકોરને કોર્ટ દ્વારા 24 એપ્રિલ સુધીના રિમાન્ડ પર મોકલાતા, પૂછપરછમાં ગેંગની કાર્યપદ્ધતિ અંગે મહત્વની વિગતો મળી રહી છે.પ્રાથમિક પૂછપરછ મુજબ, ગેંગ સોશિયલ મીડિયા પર યુવકોને ફસાવતી હતી. બાદમાં એકાંત સ્થળે બોલાવી અપહરણ કરી ખંડણી વસૂલવાની રણનીતિ અપનાવવામાં આવતી હતી. બીજી તરફ, સમગ્ર કાવતરાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવતો ભરત હીરાભાઈ રબારી હાલ પોલીસ પકડથી દૂર છે. તેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ તપાસ અને ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે. પોલીસ સૂત્રો મુજબ, આ ગેંગે અગાઉ પણ આવી જ રીતથી અનેક લોકોને શિકાર બનાવ્યા હોવાની શકયતા છે. તેથી રિમાન્ડ દરમિયાન મળતી માહિતીના આધારે અન્ય પીડિતો સામે આવી શકે છે. પોલીસ આ કેસને માત્ર એક ઘટના તરીકે નહીં પરંતુ ગેંગના સંગઠિત ગુનાખોરીના એંગલથી તપાસી રહી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

ધરપકડ:ISIS સાથે સંકળાયેલા સિદ્ધપુર અને મુંબઇના બે યુવકો ATSએ પકડ્યા

ગુજરાત ATSએ એક એવા આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે જે શાંત દેખાતા ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં જેહાદનું ઝેર ફેલાવી રહ્યું હતું. પાટણના સિદ્ધપુરનો MSCનો છાત્ર અને હાલમાં પીએસઆઈની શારીરિક કસોટી પાસ કરનાર ઈરફાન પઠાણ અને મુંબઈના સાકીનાકાનો ઝાહિદ અખ્તર શેખ આ બંનેની ધરપકડ સાથે દેશ વિરોધી ગંભીર કાવતરું નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. પકડાયેલા બંને યુવકો ISIS સાથે સંકળાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. ATSના PSI એ.પી. પરમારને મળેલી સચોટ બાતમીને આધારે DySP વીરજીતસિંહ પરમારના નેતૃત્વમાં ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ઈરફાન કાલેખાન પઠાણ કટ્ટરપંથી વિચારધારાથી એવો રંગાયેલો હતો કે તે ભારતમાં ગઝવા-એ-હિન્દ (હિન્દ પર વિજય) સ્થાપવા માટે વિદેશી આકાઓના સંપર્કમાં આવવાનો પ્રયાસ હતો. પાટણ SOGની મદદથી તેને સિદ્ધપુરથી દબોચી લેવાયો હતો. તેની પૂછપરછમાં મુંબઈના ઝાહિદ અખ્તરનું નામ ખૂલતાં તેને મહારાષ્ટ્ર પોલીસની મદદથી ઝડપી લેવાયો છે. તપાસમાં સામે આવ્યું છે કે ઈરફાને છેલ્લા 6 મહિનાથી વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર ગ્રુપ બનાવી દેશભરના 10 થી 12 કટ્ટરપંથી યુવકોને જોડ્યા હતા. આ નેટવર્કનો ઉદ્દેશ્ય ભારતમાં શરિયા કાયદો લાદવાનો હતો. તેમના ટાર્ગેટ પર રાજકીય નેતાઓ અને RSS સાથે જોડાયેલા લોકો હતા. આ માટે તેઓ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી હથિયારોની દાણચોરી કરવાનું અને ફંડ એકઠું કરવાનું આયોજન કરી રહ્યા હતા. ATS દ્વારા બંને આરોપીઓને સિદ્ધપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે દલીલ કરી હતી કે આ એક મોટું નેટવર્ક છે જેમાં અન્ય રાજ્યોના લોકો પણ સામેલ છે. કોર્ટે તપાસની ગંભીરતાને ધ્યાને લઈ 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

કોંગ્રેસનાં મહિલા નેતા રજની પાટીલના આક્ષેપ:મહિલા અનામત મુદ્દે ભાજપને હવે કોંગ્રેસ ઘેરવાનું શરૂ કરી દીધું

મહિલા અનામત બિલને લઈને કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં સીડબલ્યુસી સભ્ય રજની પાટીલે જણાવ્યું હતું કે, સમગ્ર વિપક્ષ મહિલા અનામત માટે તૈયાર છે, ત્યારે સરકારે સીમાંકન કે વસ્તી ગણતરીની રાહ જોયા વગર 2023માં પસાર થયેલા બિલનો તાત્કાલિક અમલ કરવો જોઈએ. કોંગ્રેસના મહિલા નેતા રજની પાટીલે આરોપ લગાવ્યો હતો કે, ભાજપ સરકાર સીમાંકન પ્રક્રિયા દ્વારા સત્તાનું એકીકરણ કરી રાજકીય લાભ ખાટવા માંગે છે. વિપક્ષી એકતાએ સરકારના આ કાવતરાને નિષ્ફળ બનાવી લોકશાહી અને બંધારણનો વિજય કરાવ્યો છે. તેમણે ઉમેર્યું કે, ભાજપની દાનત સાફ હોય તો 2029 સુધી રાહ જોવાની જરૂર નથી. મહિલા અનામતમાં OBC અનામત આપો : કોંગ્રેસકોગ્રેસના નેતા રજની પાટીલે મહિલા અનામતમાં OBC મહિલાઓ માટે પણ વસ્તીના આધારે જોગવાઈ હોવી જોઈએ તેવી માગ કરી હતી. તેમણે લોકસભાની 543 બેઠકોમાંથી 33% બેઠકો ફાળવવા વિપક્ષ તૈયાર હોવાની ખાતરી આપી હતી. ઉપરાંત એનસીઆરબીના ડેટાનો ઉલ્લેખ કરીને તેમણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં મહિલાઓ વિરૂધ્ધના ગુના ચિંતાજનકરીતે વધ્યા હોવાનું જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

ધરપકડ:રૂ.1,825 કરોડના GST રિફંડ કૌભાંડનો માસ્ટરમાઇન્ડ કપિલ ચુગ અંતે ઝડપાયો

જીએસટીમાં સૌથી મોટા ગણાતા રૂ.1,825 કરોડના રિફંડ કૌભાંડના લાંબા સમયથી ફરાર માસ્ટર માઇન્ડ કપિલ ચુગને 19મીએ દુબઈથી પરત ફરતાં IGI દિલ્હી ઍરપોર્ટ પરથી DGGI અમદાવાદ ઝોનલ યુનિટે ઝડપી લીધો હતો. યુનિટે કરેલી તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી કપિલ ચુગ અને તેમના સાથી વિપિન શર્માએ મળીને બોગસ કંપનીઓ ઊભી કરી કૌભાંડ આચર્યું હતું. તપાસમાં આરોપીઓએ જરૂરિયાતમંદ લોકો પાસેથી કેવાયસી દસ્તાવેજો વડે ડમી કંપનીઓ ઊભી કરી હતી. જેમાં કોઈ વાસ્તવિક વ્યવસાયિક પ્રવૃત્તિ નહોતી. આ કંપનીઓ મારફતે નકલી ઇન્વોઇસ બનાવી ITC જનરેટ કરવામાં આવતી હતી. આ ITCને અનેક સ્તરોમાં ફેરવીને લેયર્ડ ટ્રાન્ઝેક્શન દ્વારા એક કંપનીમાંથી બીજી કંપનીમાં ટ્રાન્સફર કરાતી હતી. અંતે આ ITCને નિકાસકાર કંપનીઓમાં મોકલી ઝીરો-રેટેડ સપ્લાયના નામે રિફંડ મેળવવામાં આવતું હતું. કૌભાંડમાં ખાસ કરીને તમાકુ ઉત્પાદનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કૌભાંડ કેવી રીતે આચરવામાં આવ્યું હતું? ઇનપુટ ટેક્સ ક્રેડિટની માયાજાળ | વેપારી માલ ખરીદે ત્યારે ચૂકવેલા ટેક્સની તેને ક્રેડિટ મળે છે. આ કૌભાંડમાં કાગળ પર મોંઘી તમાકુની ખરીદી બતાવીને કરોડોની ‘ફેક ITC’ જમા કરવામાં આવી હતી. ખરેખર કોઈ માલની ખરીદી થઈ જ ન હતી. કાસેઝનો રોલ | કંડલા સેઝ જેવા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાંથી થતી નિકાસ પર સરકાર ટેક્સ લેતી નથી. આરોપીઓ કંડલા સેઝમાંથી હલકો માલ ઊંચી કિંમતે નિકાસ બતાવીને, પેલી જમા થયેલી નકલી ‘ફેક ITC’ ના નાણાં રિફંડ તરીકે પોતાના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવી લેતા હતા. રાઉન્ડ ટ્રિપિંગ | બેન્ક ખાતાંઓમાં મોટા વ્યવહારો દેખાતા હતા, પરંતુ વાસ્તવમાં ફંડ એક જ ગ્રુપની કંપનીઓમાં ફરતું રહેતું હતું અથવા તરત જ રોકડમાં ઉપાડી લેવાતું હતું. ખોટા ઈ-વે બિલ જનરેટ કરવા માટે એક જ વાહન નંબરનો વારંવાર ઉપયોગ કરાયો હતો.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

સાબરકાંઠા ચૂંટણી:48ને પાસા અને 82ને તડીપાર કરવા દરખાસ્ત તૈયાર

​સાબરકાંઠા જિલ્લામાં આગામી રવિવારે મતદાન યોજાનાર છે ત્યારે એસ.પી. દ્વારા નિર્ભય વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાય તે માટે 48ને પાસા અને 82ને તડીપારની દરખાસ્ત તૈયાર કરવા સહિત ચૂંટણીની પૂર્ણ સુરક્ષા નિશ્ચિત કરવાની જવાબદારી 3120 જેટલા સુરક્ષા કર્મીઓને સોંપી છે અને શાંતિપૂર્ણ મતદાન માટે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. ​સાબરકાંઠા એસપી ડો.પાર્થરાજસિંહ ગોહિલે ચૂંટણી સુરક્ષા આયોજન અંગે વિગતવાર માહિતી આપતાં જણાવ્યું કે જિલ્લાની અંદર કુલ 980 પોલિંગ સ્ટેશન લોકેશન ઉપર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા ત્રણ અલગ-અલગ નગરપાલિકાઓની ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા એનો જે સ્કેલ જે છે, જેને ડિસ્ટ્રિક્ટ સિક્યુરિટી ડિપ્લોયમેન્ટ પ્લાન કહેવાય છે તે તૈયાર કરી દેવામાં આવ્યો છે. ​જરૂરી પોલીસ ફોર્સ પણ મેળવી લેવાઇ છે. આશરે 1200 જેટલા પોલીસ પર્સનલ્સ, તે ઉપરાંત એક કંપની અને બે સેક્શન SRP તથા 1800 જેટલા હોમગાર્ડ-GRD દ્વારા બંદોબસ્ત સ્કેલ મુજબ રખાશે. ​ટોટલ 14 ક્વિક રિએક્શન ટીમ્સ (ક્વીક રિએક્શન ટીમો) બનાવવામાં આવી છે. 5 સુપરવાઇઝરી ઓફિસર, જેમાં એક SP રેન્કના અને 4 DYSP રેન્કના ઓફિસર્સ દ્વારા આખે-આખા બંદોબસ્તનું સુપરવિઝન કરાશે. ​અત્યાર સુધીમાં સાબરકાંઠા પોલીસ દ્વારા 10 આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉપરથી અંદર 11,000 થી વધારે અટકાયતી પગલાં લેવાયા છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

​ચૂંટણીના ડેટાનું વિશ્લેષણ:ગત ચૂંટણીમાં હિંમતનગર પાલિકામાં 53.95 ટકા, જિ.પં.માં 71.01 ટકા મતદાન થયું હતું

સાબરકાંઠા જિલ્લામાં વર્ષ 2021માં યોજાયેલી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ભારે મતદાન નોંધાયું હતું. કુલ 9,12,903 મતદારો પૈકી 6,48,228 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતાં 71.01 ટકા મતદાન થયું હતું. જ્યારે હિંમતનગર નગરપાલિકામાં કુલ 62513 મતદારો પૈકી 33725 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતાં સરેરાંશ 53 ટકા મતદાન નોંધાયું હતું. ​ચૂંટણીના ડેટાનું વિશ્લેષણ કરતાં જણાય છે કે પુરુષ મતદારોમાં મતદાનનું પ્રમાણ વધુ રહ્યું છે. કુલ 4,69,961 પુરુષ મતદારો હતા, જેમાંથી 3,45,627 73.54 ટકા લોકોએ મતદાન કર્યું હતું. તેની સામે 4,42,942 સ્ત્રી મતદારોમાંથી 3,02,601 મહિલાઓએ મતદાન મથક સુધી પહોંચી 68.31 ટકા મતદાન કર્યું હતું. ટકાવારીની દ્રષ્ટિએ મહિલાઓનું મતદાન પુરુષો કરતાં થોડું ઓછું રહ્યું હતું. હિંમતનગર પાલિકામાં 9 વોર્ડ માટે યોજાયેલ ચૂંટણીમાં કુલ 62,513 મતદારો પૈકી 18,412 પુરુષ મતદાર અને 15313 સ્ત્રી મતદારોએ કુલ 53.95 ટકા મતદાન કર્યું હતું જેમાં પુરુષ મતદારોનું સરેરાશ 58 ટકા અને સ્ત્રી મતદારોનું સરેરાશ 49.68 ટકા મતદાન નોંધાયું હતું. ખેડવા અને દોલતાબાદમાં મહત્તમ મતદાન ​જિલ્લા પંચાયતની 36 બેઠક માટે થયેલા મતદાનમાં ભારે અસમાનતા જોવા મળી હતી. સૌથી વધુ મતદાન ખેડવા વોર્ડમાં 81.79 ટકા અને દોલતાબાદ વોર્ડમાં 80.37 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. બીજી તરફ સવગઢ 59.56 ટકા અને ગોરલ જેવા વિસ્તારોમાં મતદાનની ટકાવારી 60 ટકાની નીચે રહેતા ઓછો ઉત્સાહ જોવા મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

ખેડૂતો ચિંતિત:મોરખલા પાસે નહેરના કિનારા બાજુનું આરસીસી લેયર તૂટતાં માટીનું ધોવાણ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મોરખલા ગામ નજીક મુખ્ય નહેરમાં નર્મદા ખાતેથી સૌરાષ્ટ્ર સુધી પાણી પહોંચે તે અર્થે કાયમ માટે બંને કાંઠે પાણીનો ભરાવો રહેતો હોય છે. બોડેલી મુખ્ય નહેરમાં સતત પાણીના વહેણને લઇ મોરખલા પાસે કેનાલમાં મસ મોટું ભંગાણ થાય તે સ્થિતિમાં નિર્માણ થયું છે. આ મુખ્ય નહેરના કિનારા બાજુ પરનું આરસીસી લેયર અનેક જગ્યાએ તૂટી ગયું છે. જેના કારણે માટીનું ધોવાણ થઇ રહ્યું છે અને ગાબડાં પડતાં દેખાઇ રહ્યા છે. થોડા સમય પહેલાં જ આ જગ્યાએ સમારકામ કરાયું હતું. પરંતુ તકલાદી કામને કારણે ફરીથી સ્ટ્રક્ચર તૂટી જવાની સંભાવના હોવાથી સ્થાનિક ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. થોડા સમય અગાઉ જ નહેર રિપેર કરવામાં આવી છતાં ફરી એકવાર જર્જરિત હાલતમાં મૂકાતાં સ્થાનિક લોકો ગંભીર આક્ષેપો લગાવી રહ્યા છે. નર્મદા મુખ્ય કેનાલ અબજો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે અને અનેક ગામોને સિંચાઇ માટે પાણી પહોંચાડે છે. તેમ છતાં આવી બેદરકારી અને ભ્રષ્ટાચારના કારણે કેનાલના અસ્તિત્વ પર જ જોખમ ઊભું થતું હોવાથી લોકોનો રોષ ચરમ સીમાએ પહોંચ્યો છે. સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક પગલાં લઇ મજબૂત અને ગુણવત્તાયુક્ત સમારકામ કરવાની માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

યાત્રાધામ:શારદાપીઠમાં આદ્ય શંકરાચાર્યજીની પાદુકાનું વૈદિક મંત્રોચ્ચાર પૂજન, જગતમંદિરે ધ્વજારોહણ

દેવભૂમિ દ્વારકા ખાતે આવેલ શારદાપીઠ શંકરાચાર્ય મઠ ખાતે સનાતન ધર્મના પ્રણેતા અને અદ્વૈત વેદાંતના મહાન પ્રચારક આદ્ય શંકરાચાર્યજી ની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય અને આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંગળવારે સવારે 10:00 વાગ્યે શરૂ થયેલી આઉજવણી માં ભક્તિ અને શ્રદ્ધાનો અદભૂત માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમની શરૂઆત શારદાપીઠ ખાતે આદ્ય શંકરાચાર્યજીની પાદુકાનું વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિપૂર્વક પૂજન કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ દ્વારકાધીશ મંદિરના શિખર પર ધ્વજા આરોહણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. પૂજારી પરિવાર દ્વારા શાસ્ત્રીય વિધિઓ અનુસાર ધ્વજાજી નું પૂજન કરવામાં આવ્યું અને ગાજતા-વાજતા ભજન-કીર્તન વચ્ચે ધ્વજાજીને મંદિરની પ્રદક્ષિણ કરાવી શિખર પર સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિવિધ આશ્રમોના સંતો, મહંતો, બ્રહ્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ધાર્મિક ભાવના ધરાવતા ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વાતાવરણ મંત્રોચ્ચાર, ભજન અને આધ્યાત્મિક ઉર્જાથી ગુંજી ઉઠ્યું હતું, જે ભક્તોને અનોખી શાંતિ અને ભક્તિનો અનુભવ કરાવતું હતું.પ઼્સંગ દરમિયાન બ્રહ્મચારી નારાયણ નંદજીએ આદ્ય શંકરાચાર્યજીના જીવનચરિત્ર પર પ્રકાશ પાડતા જણાવ્યું કે તેમની શિક્ષાઓ આજે માનવજીવન માટે માર્ગદર્શક છે. તેમણે ભક્તોને સંદેશ આપ્યો કે આધ્યાત્મિક મૂલ્યો અપનાવી જીવનને શુદ્ધ, સદાચારી અને કર્તવ્યનિષ્ઠ બનાવવું જોઈએ. આ આયોજન દ્વારા સનાતન ધર્મ પ્રત્યેની આસ્થા વધુ મજબૂત બને તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. આયોજકો દ્વારા તમામ ધર્મપ્રેમી ભક્તોને આ પાવન અવસર પર ઉપસ્થિત રહી ધર્મલાભ લેવા આમંત્રિત આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભવ્ય રીતે સંપન્ન થયો હતો.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

ભાસ્કર એનાલિસીસ:ચૂંટણીમાં યુવાનોની રુચિ વધી: મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠક માટે 74 ઉમેદવારમાંથી 9ની ઉંમર 30થી ઓછી

મોરબી જિલ્લાની વિવિધ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી નજીક આવી રહી છે અને મતદાનને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે આ વખતે પક્ષોએ યુવા પેઢીને વધુ મહત્વ આપ્યું છે. યુવા મતદારો પણ હવે ચૂંટણી જંગમાં યુવાનો જ આવે તેવું ઇચ્છતા હોય છે અને આવા ઉમેદવારોને જ મત આપવા તરફ આકર્ષાય છે ત્યારે એ જાણવું રસપ્રદ થઇ પડશે કે મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠક માટે 74 ઉમેદવારે ફોર્મ ભર્યા છે જેમાં 9ની ઉંમર 30 વર્ષથી ઓછી છે. આ વર્ષે 20થી 40 વર્ષ વયના 74માંથી 29 ઉમેદવારો મેદાનમાં ચૂંટણીમાં છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે મતદાનને ગણતરીના દિવસો જ બાકી છે. બીજી તરફ ચૂંટણી તંત્ર પણ ઈવીએમના ડિસ્પેચ અને તેને લગતી અન્ય તૈયારીમાં વ્યસ્ત થઇ ગયું છે. નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત ચૂંટણી પ્રકિયા યોજાઈ રહી છે ત્યારે તેમના પસંદગીના ઉમેદવારોને મત આપવા મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી શકે છે. યુવા મતદારો ને આકર્ષવા રાજકીય પક્ષ દ્વારા પણ યુવા ઉમેદવારોને તક આપવાનો પ્રયાસ કર્યો છે. ઉંમર મુજબ જોઈએ તો 20 થી 30 વયના 9 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. 31 થી 40ના 20 ઉમેદવાર, 41 થી 50 સુધીના 22 ઉમેદવાર, 51 થી 60 વયના 19 ઉમેદવાર, 61 થી 70 વયના 71થી વધુ અને 72થી વધુ વયના 1 ઉમેદવાર મેદાનમાં છે. સૌથી નાની વયના ઉમેદવાર તરીકે અપક્ષ ઉમેદવાર આરતીબેન હરેશભાઈ ગમાર 21 વર્ષના છે જેઓ જિલ્લા પંચાયતની ઘૂટું બેઠક પરથી મેદાનમાં છે. તેમના અભ્યાસ વિશે જોઈએ તો પ્રાથમિક ધોરણ સુધી અભ્યાસ પૂર્ણ કર્યો છે . જયારે સૌથી વધુ વયના ઉમેદવાર ખાખરેચી બેઠકના સિંધાભાઈ નાનાજીભાઈ ઉપસરિયા છે જેમની ઉમર 72 વર્ષની છે. સિંધાભાઈ ઉપસરીયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે તેનો અભ્યાસ ધોરણ 2 સુધીનો છે. જિલ્લા પંચાયતમાં સૌથી વધુ ઉમેદવાર 41 થી 50 વયની વચ્ચેના છે, જેની સંખ્યા 22 જેટલી છે. શિક્ષિત ઉમેદવારની પસંદગી કરવામાં તમામ મુખ્ય પક્ષ હજુ પણ થાપ ખાઈ રહ્યા છે. મોરબી જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારી કરી રહેલા ઉમેદવારો માંથી 6 ઉમેદવાર નિરક્ષર છે તો સૌથી વધુ 26 ઉમેદવાર એવા છે જેણે ધોરણ 1 થી 7 સુધીનો જ અભ્યાસ કર્યો છે. 16 ઉમેદવાર એવા છે, જે માત્ર એસ એસ સી સુધી ભણેલા છે. ઉચ્ચતર માધમિક સુધી અભ્યાસ કરનાર ઉમેદવારની સંખ્યા માત્ર 12 છે. કોલેજના પગથિયા ચઢી સ્નાતક થયેલા ઉમેદવારની કુલ સંખ્યા માત્ર 4 છે તો 7 ઉમેદવાર એવાં છે જે અનુસ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે, જેમાંથી બેએ એમએસસી કેમેસ્ટ્રી કર્યું છે. એક ઉમેદવાર એમ કોમ ,એક ઉમેદવારે એમ એ સુધીનો અભ્યાસ કર્યો છે. બે ઉમેદવાર એડવોકેટ અને એક ડોક્ટર દ્વારા પણ ઉમેદવારી કરવામાં આવી છે. 2 ઉમેદવાર દ્વારા તો તેમના શિક્ષણ અંગેની કોઈ વિગત જ જાહેર કરી નથી.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

દુર્ઘટના:ઉમરાળા પાસે રિક્ષા-પીકઅપ વાહન વચ્ચે અકસ્માતમાં રિક્ષાચાલક યુવાનનું મોત : 2ને ઇજા

બોટાદ જિલ્લાના ઉમરાળા ગામે ભડીયા પાસે છકડો રિક્ષા અને પીકઅપ વાહન વચ્ચે અકસ્માત સર્જાતા છકડો ચાલક (મૂળ રહે.અલમપુર, હાલ,કામરેજ)નું મોત નીપજેલ છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઈજા થતાં ગામમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું. બનાવને પગલે પીકઅપ વાહનના ચાલક વિરૂધ્ધ રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ છે. પોલીસ વર્તુળના જણાવ્યા પ્રમાણે રાણપુર તાલુકાના અલમપુર ગામે રહેતા અને સેન્ટીંગનો વ્યવસાય કરતા હરેશભાઈ હમીરભાઈ બથવાર (ઉ.વ.22)એ પીકઅપ ચાલક વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગત તા.19 એપ્રિલના ફરીયાદી હરેશભાઈ હમીરભાઈ બથવારના સમાજના દાદાને બેસાડવાનો પ્રસંગ હોય,પ્રસંગ પૂરો થતાં તેના સગા કાકાના દિકરા જીગ્નેશભાઈ રમેશભાઈ પરમાર રહે,કામરેજ જી.સુરતવાળા અલમપુર ગામના ગણપતભાઇ પીતાંબરભાઇ દુલેરાના છકડામાં હરેશભાઈ બથવાર તથા સતીષભાઈ રમેશભાઈ પંચાલ રહે,નડાળા જી.સુરેન્દ્રનગરને બેસાડી ઉમરાળા ગામે પાણીના કેન મુકવા માટે ગયેલ. પાણીના કેન મૂકી ઉમરાળાથી અલમપુર ગામે જવા નીકળેલ અને સાંજના આશરે સાડા સાતેક વાગ્યે ઉમરાળાથી રાણપુર રોડ ઉપર ઉમરાળાનો ઢાળ ઉતરતાં ઉમરાળા ગામના ભડીયા પાસે પહોંચતાં સામેથી GJ-01-JT- 0654 વાળા પીકઅપ વાહન ચાલકે પોતાના કબ્જાનું વાહન પુરઝડપે ચલાવી છકડાને સામેથી ટક્કર મારી હરેશભાઈને ડાબા હાથે અંગુઠા પાસે છોલાણ તથા ડાબા હાથની કોણીના ભાગે છોલાણ તથા જમણા પગની ટચલી આંગળી પાસે મુંઢ ઈજાઓ પહોંચાડેલ. છકડો ચાલક જીગ્નેશભાઈને ચહેરાના ભાગે લોહીયાળ ગંભીર ઈજા પહોંચાડેલ તથા સતીષ ભાઈને બન્ને પગે છોલાણ તથા જમણા હાથાના અંગુઠા ઉપર છોલાણ જમણા પડખે મુંઢ ઇજા તથા શરીરે મુંઢ ઈજાઓ પહોંચાડેલ. ઇજાગ્રસ્ત તમામને બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં લાવતા ફરજ પરના ડોક્ટરે જીગ્નેશભાઈને તપાસી મરણ જાહેર કરેલ. આમ ઉપરોક્ત વિગતો મુજબની હરેશભાઈ બથવારએ પીકઅપ ચાલક વિરૂધ્ધ રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

અરવલ્લી SOGનો સપાટો:માલપુરના ઉભરાણમાં વૃદ્ધાને વિશ્વાસમાં લઈ 2.50 લાખના કડલા પડાવનાર 2 ઠગ ઝડપાયા

માલપુરના ઉભરાણમાં ત્રણ ગઠિયાઓ વૃદ્ધાને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી આશરે 1 કિલો વજનના ચાંદીના કડલા પડાવી લીધા હતા. આ આઘાત સહન ન થતાં વૃદ્ધાએ પોતાના ઘરે જઈ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. અતિ ચકચારીભરી આ ઘટનામાં અરવલ્લી SOGએ બાતમી આધારે મોડાસાના સર્વોદયનગર ડુંગરી પાસેથી બે રીઢા ઠગ આરોપીઓને ઝડપી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે 1 કિલો ચાંદી, એક્ટિવા મળી 3 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં એક આરોપી હજુ ફરાર હોઇ તેને પકડવાનો બાકી છે. SOG પીઆઈ પી.બી. ચૌધરી અને તેમની ટીમે પેટ્રોલીંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે નાકાબંધી કરી હતી. મોડાસા સર્વોદયનગર ડુંગર તરફથી એક્ટિવા નંબર GJ-31-AB-5480 પર આવી રહેલા બે શખ્સો દેવાભાઈ ઉર્ફે ભાટીયા સલાટ અને દિલીપભાઈ સલાટને અટકાવી તેમની ઝડતી લેતાં તેમની પાસેથી 2.50 લાખની કિંમતના 1 કિલો ચાંદીના કડલા મળી આવ્યા હતા. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેમણે તેમના અન્ય એક મિત્ર અર્જુન ઉર્ફે અજય રાઠોડ સાથે મળીને ઉભરાણ ગામની વૃદ્ધાને ઠગીને આ કડલા પડાવ્યા હતા. પકડાયેલા બંને આરોપીઓની મોડસ ઓપરેન્ડી ઉંમરલાયક વ્યક્તિઓને વિશ્વાસમાં લઈ દાગીના પડાવી લેવાની છે. પોલીસે કુલ 3 લાખનો મુદ્દામાલ કબજે કરી ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. પકડાયેલા બે આરોપીઓ‎ 1. દેવાભાઇ ઉર્ફે ભાટીયા ધીરાભાઇ સલાટ ,2. દિલીપભાઇ મોહનભાઇ સલાટ બંને રહે.સર્વોદય નગર ડુંગરી, મોડાસા ફરાર આરોપી 1. અર્જુન ઉર્ફે અજય શાંતિલાલ રાઠોડ (સલાટ) હાલ. રહે. સર્વોદય નગર ડુંગરી, મોડાસા, મૂળ રહે. અમદાવાદ કુબેરનગર

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

ભાસ્કર એનાલિસીસ:વ્યારામાં ‘ચૂંટણી જંગ’, કોઈ કરોડોનો‎આસામી તો કોઈ પાસે સોનાના નામે 0‎

વ્યારા નગર પાલિકાની આ ચૂંટણીમાં ઉમેદવારોની સંપત્તિમાં આસમાન-જમીનનો તફાવત જોવા મળી રહ્યો છે. આ ચૂંટણીમાં સૌથી વધુ ધનવાન વોર્ડ નંબર 6 ના ભાજપના ઉમેદવાર તેજસભાઇ ચંપકભાઈ પંચાલ છે. તેમની પાસે 30 તોલા સોનું લાખની રોકડ, ₹1 કરોડની થાપણો અને અંદાજે ₹51.76 લાખની અન્ય મિલ્કતો છે. આર્થિક પ્રભાવ | ભાજપના સધ્ધર ઉમેદવારો પ્રચાર-પ્રસારમાં વધુ ખર્ચ કરવાની ક્ષમતા ધરાવે છે, જે ચૂંટણીમાં દબદબો બનાવી શકે છે.શૈક્ષણિક અસર | શિક્ષિત ઉમેદવારો (LLB, BE) ની હાજરીથી પાલિકાના વહીવટી પ્રશ્નો અને કાયદાકીય સમજમાં મતદારોનો વિશ્વાસ વધી શકે છે.સ્થાનિક જોડાણ | સોનું કે મિલ્કત વગરના સામાન્ય ઉમેદવારો ‘સામાન્ય માણસ’ હોવાનું કાર્ડ રમીને ગરીબ અને મધ્યમ વર્ગના મતો મેળવી શકે છે. વ્યારા નગરપાલિકામાં આ વખતે સંપત્તિ અને શિક્ષણના સમીકરણો મૂરતિયાઓના ભાવિ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ખડગેએ મોદીને આતંકવાદી કહી દીધા, પછી ફરી ગયા; ટ્રમ્પે કહ્યું- મેં ઈરાનમાં સત્તા બદલી નાખી, ગુજરાત ATSએ બે આતંકી ઝડપ્યા

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર મલ્લિકાર્જુન ખડગેના વિવાદિત નિવેદનના રહ્યા. તેમણે પીએમને આતંકવાદી કહ્યા. બીજા સમાચાર મધ્ય પ્રદેશમાં પ્રથમ વખત રાત્રે લૂના એલર્ટના છે. અમે તમને એ પણ જણાવીશું કે ટ્રમ્પે ઈરાનને નવી શું ધમકી આપી છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ઉત્તરાખંડમાં કેદારનાથ ધામના કપાટ ખુલશે. CM પુષ્કર સિંહ ધામી પણ હાજર રહેશે. 2. IPLમાં લખનઉ અને રાજસ્થાન વચ્ચે સાંજે 7.30 વાગ્યાથી લખનઉમાં મેચ રમાશે. કાલના મોટા સમાચારો 1. મલ્લિકાર્જુન ખડગેએ PM મોદીને આતંકવાદી કહ્યા:પછી બોલ્યા- મેં આવું નથી કહ્યું, મારો મતલબ હતો કે મોદી લોકો અને પક્ષોને ડરાવે-ધમકાવે છે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે ચેન્નઈમાં કહ્યું- આ AIADMKના લોકો, જેઓ પોતે અન્નાદુરાઈની તસવીર લગાવે છે, તેઓ મોદી સાથે કેવી રીતે જોડાઈ શકે? તે (મોદી) એક આતંકવાદી છે. જોકે બાદમાં ખડગેએ કહ્યું- PM મોદી લોકો અને રાજકીય પક્ષોને ડરાવી રહ્યા છે. મેં ક્યારેય કહ્યું નથી કે તેઓ આતંકવાદી છે. મારો મતલબ છે કે મોદી હંમેશા ધમકી આપે છે. તેમણે કહ્યું- ED, I-T અને CBI જેવી સંસ્થાઓ તેમના હાથમાં છે. તેઓ સીમાંકન પણ પોતાના હાથમાં લેવા માંગે છે. એટલે હું કહી રહ્યો હતો કે મોદી લોકો અને વિપક્ષી દળોને આતંકિત કરી રહ્યા છે. ન કે મોદી આતંકવાદી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. યુપીનું પ્રયાગરાજ દેશમાં સૌથી ગરમ, પારો 44.4C:MP સહિત 8 રાજ્યોમાં રાત્રે પણ લૂ અનુભવાશે; મહારાષ્ટ્ર-છત્તીસગઢમાં બપોરે ટ્રાફિક સિગ્નલ બંધ દેશના ઘણા ભાગોમાં આકરી ગરમી શરૂ થઈ ગઈ છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઓડિશા અને દિલ્હીમાં દિવસ દરમિયાન લૂનો પ્રકોપ ચાલુ છે. આ રાજ્યોના ઘણા જિલ્લાઓ 44C નો આંકડો પાર કરી ગયા છે. મહારાષ્ટ્રના ગોંદિયા અને છત્તીસગઢના બિલાસપુરમાં સોમવારે તાપમાન 43 ડિગ્રી નોંધાયું હતું. ભીષણ ગરમીને કારણે બંને જિલ્લાઓમાં બપોરે 12:30 થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવી રહ્યા છે, જેથી લોકો ચોકડીઓ પર તડકામાં ઊભા રહેવાથી બચી શકે. આ ઉપરાંત, આ રાજ્યોની સરકારે બપોરે 12 થી 4 વાગ્યા સુધી તમામ આઉટડોર કામો રોકવાના નિર્દેશ આપ્યા છે. કન્સ્ટ્રક્શન વર્કર, સ્ટ્રીટ વેન્ડર અને ટ્રાફિક પોલીસ કર્મચારીઓના કામના કલાકો બદલીને સવારે 6 થી 11 વાગ્યા સુધી અને સાંજે 4 થી 8 વાગ્યા સુધી કરવામાં આવ્યા છે. હવામાન વિભાગે મંગળવારે હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, પશ્ચિમ યુપી, ઓડિશા, છત્તીસગઢ, વિદર્ભમાં રાત્રિ દરમિયાન પણ લૂનું એલર્ટ જાહેર કર્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ટ્રમ્પે કહ્યું- મેં ઈરાનમાં સત્તા બદલી નાખી:જલ્દી મોટી ડીલ થઈ શકે છે, જો ન થાય તો અમે હુમલા માટે તૈયાર; ટ્રમ્પની ચોખવટ- સીઝફાયર નહીં લંબાવાય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમણે ઈરાનમાં શાસન બદલી નાખ્યું છે. તેમણે કહ્યું કે જોકે તેમણે અગાઉ આ વાત કહી નહોતી, પરંતુ હવે શાસન બદલાઈ ગયું છે. CNBC ન્યૂઝ સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે હાલની પરિસ્થિતિઓમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ટૂંક સમયમાં એક મોટો સોદો થઈ શકે છે. તેમણે કહ્યું કે ઈરાન પાસે કરાર પર પહોંચવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. દરમિયાન, અમેરિકા સાથે સંભવિત વાટાઘાટો માટે ઈરાની પ્રતિનિધિમંડળના પાકિસ્તાન આગમન અંગે સસ્પેન્સ છે. ઈરાની મીડિયા અનુસાર, મુખ્ય વાટાઘાટ કરનાર અને સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘર ગાલિબાફ, વિદેશ પ્રધાન અરાઘચી અને તેમના નાયબ હાલમાં દેશમાં છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. સુપ્રીમ કોર્ટે પૂછ્યું-મૂર્તિને સ્પર્શ કરવો એ ભગવાનનું અપમાન કેવી રીતે:સબરીમાલાના વકીલે કહ્યું- ભગવાન અયપ્પા બ્રહ્મચારી છે, તેથી પૂજાની પ્રથા પણ તેવી જ છે સબરીમાલા મંદિરમાં મહિલાઓની એન્ટ્રી અને ધાર્મિક ભેદભાવ સંબંધિત કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ છે. કોર્ટે પૂછ્યું, ‘મૂર્તિને સ્પર્શ કરવો એ ભગવાનનું અપમાન કેવી રીતે હોઈ શકે?’ સુપ્રીમ કોર્ટે પૂછ્યું, 'શું બંધારણ તે ભક્તની મદદ માટે આગળ નહીં આવે, જેને ફક્ત તેના વંશ અને જન્મના કારણે દેવતાને સ્પર્શ કરવાથી રોકવામાં આવે છે?' આ બાબતે સબરીમાલાના વકીલ એડવોકેટ વી. ગિરીએ કહ્યું કે કોઈપણ મંદિરમાં થતા રીતિ-રિવાજો તે ધર્મનો અભિન્ન અંગ હોય છે. પૂજા દેવતાની લાક્ષણિકતાઓની વિરુદ્ધ ન હોઈ શકે. ભગવાન અયપ્પા ‘નૈષ્ઠિક બ્રહ્મચારી’ છે, તેથી ત્યાંની પરંપરાઓ તે મુજબ નક્કી કરવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. IPL પછી તરત જ ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાન સામે ટકરાશે:ગિલ-બુમરાહને આરામ મળી શકે છે, ટેસ્ટમાં નવા ખેલાડીઓને તક મળી શકે છે અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટમાં શુભમન ગિલ અને જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવી શકે છે. 31 મેના રોજ IPL 2026ની ફાઇનલ છે અને ભારતીય ટીમનું આંતરરાષ્ટ્રીય કેલેન્ડર વ્યસ્ત છે. વર્કલોડ મેનેજમેન્ટના કારણે કેટલાક ખેલાડીઓને આરામ મળી શકે છે. જ્યારે, હર્ષ દુબે, આકિબ નબી અને દેવદત્ત પડિકલને તક મળી શકે છે. ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીએ બોલિંગમાં સુધારો કર્યો છે, જેના કારણે તેના નામની ચર્ચા છે. પસંદગી સમિતિ ઉતાવળ કરવાને બદલે મેડિકલ ટીમની સલાહ પર નિર્ણય લેશે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. 'ખૂલ્લેઆમ કાફિરો કો મારેંગે, ફીર શરિયત હોગા', બે આતંકી ઝડપાયા:બોમ્બ બનાવવાની તૈયારીમાં હતા, દેશ વિરોધી પ્રવૃત્તિઓની ચેટ પણ મળી, ગુજરાત ATSનું સિદ્ધપુર-મુંબઈમાં ઓપરેશન ગુજરાત ATSએ કટ્ટરપંથી વિચાર ધરાવતા બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ સોશિયલ મીડિયા મારફતે દેશ વિરોધી કાવતરું રચી ગઝવા એ હિન્દની સ્થાપના કરવાનું વિચારીને હુમલો કરવાની તૈયારી કરતા હતા. આરોપી આંતકવાદીઓ બોમ્બ બનાવવાની તૈયારીમાં હતા, દેશ વિરોધી પ્રવૃત્તિઓની ચેટ પણ મળી આવી છે. જેમાં આરોપીએ લખ્યું છે કે, ખૂલ્લેઆમ કાફિરો કો મારેંગે, ફીર શરિયત હોગા. આરોપીઓ પાસેથી વાંધાજનક સાહિત્ય પણ મળી આવ્યા છે જેની હાલ તપાસ ચાલી રહી છે.વાંચો સંપૂર્ણ સમાચાર 7. સુરતમાં ભાજપના સિનીયર નેતાઓને સ્થાનિકોએ ભગાડ્યા:'ભાજપ ગો બેક'ના નારા લાગ્યા, ગોરાટ હનુમાન મંદિર બચાવવા અને અશાંતધારા મુદ્દે વિરોધ ચૂંટણી આવતા જ નેતાજીના સૂર બદલાવા લાગે છે. આવું જ કંઈ ગોંડલમાં જોવા મળ્યું. ભાજપના બાહુબલી નેતા જયરાજસિંહ જાડેજા ગોંડલના ચરખડી ગામે મતદારોની માફી માંગતા જોવા મળ્યા. તેમણે માફી માંગતા કહ્યુ કે જો ચરખડી ગામના કામોમાં ક્યાંય વિલંબ થયો હોય અથવા મારી પંચાયતની કોઈ ભૂલ થઈ હોય તો હું જાહેરમાં માફી માંગુ છું. મારા સાથી દિવ્યેશભાઈની પણ કોઈ ભૂલ થઈ હોય તો તે બદલ પણ હું ક્ષમા માંગુ છું. બે દિવસ પહેલા મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડિયાએ પોતાની ચૂંટણી સભામાં ટિકિટ કાપવા મુદ્દે કહ્યું હતું કે, ટિકિટ કાપનારની આત્માને ભગવાન શાંતિ આપે તે માટે ઘરે 111 દિવસ સુધી અખંડ દીવો ચાલુ રાખ્યો છે. દેવાભાઈના પુત્ર સહિત ચાર લોકોને ભાજપની ટિકિટ ન મળતા તેઓ વોર્ડ નં. 1માંથી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : પહેલગામ હુમલાની પ્રથમ વરસી આજે, બૈસરન હજી પણ બંધ:સેનાએ કહ્યું- ભારત કંઈ ભૂલ્યું નથી; જે હદો ઓળંગશે તેને જડબાતોડ જવાબ મળશે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : UN રાજદૂત બોલ્યા-ભારતે ઇઝરાયલની મદદ કરીને કાયદો તોડ્યો:હથિયારો મોકલવા નિયમોની વિરુદ્ધ, તેનાથી વૈશ્વિક વ્યવસ્થા નબળી પડી રહી છે વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ભાગવત બોલ્યા-વિજ્ઞાન અને ધર્મ બંનેથી શાંતિ મળી નહીં:રાજાથી વિજ્ઞાન સુધીના બધા મોડેલ નિષ્ફળ; દુનિયા હવે ભારતના જ્ઞાનથી આશા રાખી રહી છે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ગુરુદ્વારામાં બે જૂથો વચ્ચે અથડામણ, 11 ઘાયલ, મીટિંગમાં બોલાચાલી બાદ મારામારી; કિરપાણથી હુમલો, ફાયરિંગ અને આંખમાં સ્પ્રે માર્યો હોવાનો પણ દાવો વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ટિમ કૂક પછી જ્હોન ટર્નસ સંભાળશે એપલની કમાન:15 વર્ષ પછી કંપનીના CEO બદલાઈ રહ્યા છે; કૂક હવે એક્ઝિક્યુટિવ ચેરમેન બનશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : MATCH મસાલા: હાર્દિકે ચાલુ મેચમાં તિલકને તતડાવ્યો, સદી પછી કીસ આપી:કોણે ગિલની દાઢીની મજાક ઉડાવી?; સિનસપાટામાં વિંટી ખોવાઈ, ધંધે લાગ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ગુરુ-ચંદ્રની કૃપાથી સર્જાયો 'ગજકેસરી રાજયોગ':મિથુન-સિંહ સહિત પાંચ રાશિના જાતકોનો સુખનો સૂરજ ઊગશે, ચારેબાજુથી ધનલાભની શકયતા વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ જાન લઈને DM ઓફિસ પહોંચ્યા વરરાજા ઉત્તર પ્રદેશના બાંદામાં લગ્ન પહેલા વીજળી ગુલ થઈ ગઈ હતી. આનાથી ગુસ્સે ભરાયેલા વરરાજા કુલદીપ કુમાર લગ્નની જાન જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસમાં વિરોધ કરવા માટે લઈ ગયા હતા. વરરાજાનો દાવો છે કે સ્માર્ટ મીટર લગાવ્યા પછી તેનું વીજળીનું બિલ બમણું થઈ ગયું છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor's View: યુદ્ધ માટે કતલની રાત:ઇસ્લામાબાદ મંત્રણા પર હજુ સસ્પેન્સ, ટ્રમ્પની ધમકીઓ અને અલ્ટિમેટમનો ઉલાળિયો, ત્રણ સવાલોએ દુનિયાને ઘુમરે ચડાવી 2. ભાસ્કર સિરીઝ: ‘આસારામના દીકરાએ વર્ષો સુધી મારી સાથે દુષ્કર્મ કર્યે રાખ્યું હતું’: FIR થતાં જ નારાયણ સાંઈ ભાગી ગયો, ₹5 લાખનું ઇનામ રખાયું 3. આજનું એક્સપ્લેનર:ચૂંટણી પછી કેટલા મોંઘા થઈ શકે છે પેટ્રોલ-ડીઝલ; ઈરાન યુદ્ધમાં પાકિસ્તાનથી અમેરિકા સુધી 44% કિંમતો વધી, ભારતે ભાવ કેવી રીતે રોક્યા? 4. ભાસ્કર એક્સક્લૂસિવ: 'FBI મારી પાછળ 12 વર્ષથી પડી છે':USમાં $32 મિલિયન કૌભાંડના આરોપી ભાસ્કર સવાણીઃ 'અમરેલીના ફાર્મમાં રેડ પાડી, ગુજરાતી હોવાથી હેરાન કરાયો 5. તમિલનાડુમાં BJPનું ખાતું ખોલવું મુશ્કેલ:120-140 સીટો સાથે સ્ટાલીનની વાપસીના અણસાર, થલાપતિ વિજયને 5થી 15 સીટ 6. હમ લોગ : જન્મ સમયે બાળકોને, મૃત્યુ પછી મૃતદેહને પાય છે શરાબ:કોયા લોકોમાં સગી ફઈની દીકરી સાથે લગ્ન; નિયમ તોડ્યો તો જીવતે-જી પિંડદાન 7. ભાસ્કર એક્સપ્લેનર પંખા આગ ઓકે છે, રાત્રે પણ કેમ રાહત નહીં:ભારતની ગરમ રાત્રીઓ કેવી રીતે બની રહી છે 'સાઇલન્ટ કિલર'; તેનાથી કેવી રીતે બચવું? કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ રાશિફળ બુધવારનું રાશિફળ:વૃશ્ચિક અને મકર રાશિ પર ભાગ્યની કૃપા રહેશે; કન્યા અને કુંભ જાતકોના ઘરે માંગલિક પ્રસંગોના યોગ વાંચો સંપૂર્ણ સમાચાર…

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:00 am

ધારાસભ્ય કિરીટ પટેલના ભાજપ પર પ્રહાર:ભાજપ હિન્દુ-મુસ્લિમ કરે છે અને ભાજપના નેતાઓ મુસ્લિમ ડોક્ટરો સાથે ભાગીદારી કરીને દર મહિને 2 લાખ રૂપિયા કમાય છે

પાટણ નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર અર્થે કરડીયા વીર ચોક ખાતે યોજાયેલી કોંગ્રેસની જાહેર સભામાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ભાજપ પર હિન્દુ-મુસ્લિમના નામે લોકોને ગુમરાહ કરવાનો આરોપ લગાવ્યો હતો, જ્યારે ભાજપના નેતાઓ પોતે વ્યવસાયિક હિતો માટે મુસ્લિમ ભાગીદારો સાથે કામ કરતા હોવાનો દાવો કર્યો હતો. આ સભા પાટણ નગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વોર્ડ નંબર 1ના કોંગ્રેસના ઉમેદવારો મહેન્દ્રભાઈ પટેલ, ભૂમિકાબેન પ્રતીકભાઈ પટેલ, રામાજી શામતાજી ઠાકોર અને વર્ષાબેન ચંદનજી ઠાકોરના સમર્થનમાં યોજાઈ હતી. આ ઉપરાંત વોર્ડ નંબર 3માં પણ એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભાને સંબોધતા ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપના પ્રચારનો જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે ભાજપના નેતાઓ એવી અફવાઓ ફેલાવે છે કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો પાણી બંધ થઈ જશે અથવા રસ્તા સાફ નહીં થાય. ધારાસભ્યએ 2015 થી 2020 સુધીના કોંગ્રેસના શાસનનો ઉલ્લેખ કરીને પૂછ્યું હતું કે તે સમયે શું પાણીની સુવિધા બંધ થઈ ગઈ હતી? તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો કે તેઓ પ્રજાને હિન્દુ-મુસ્લિમના નામે લડાવે છે, પરંતુ પોતાના આર્થિક લાભ માટે મેડિકલ જેવા વ્યવસાયોમાં મુસ્લિમ ડોક્ટરો સાથે ભાગીદારી કરીને દર મહિને 2 લાખ રૂપિયા જેવી રકમ કમાય છે. ધારાસભ્યએ વધુમાં ઉમેર્યું હતું કે પાટણનો લેઉવા પાટીદાર સમાજ અને વોર્ડ નંબર 1ના રહીશો જાગૃત છે અને તેઓ આવી વાતોથી ગુમરાહ થશે નહીં. તેમણે ભાજપના નેતાઓને નૈતિકતાના આધારે આવી બેધારી નીતિ બંધ કરવા પડકાર ફેંક્યો હતો. મોંઘવારીના મુદ્દે બોલતા તેમણે કહ્યું કે રાજસ્થાનમાં 500 રૂપિયામાં ગેસનો બાટલો મળે છે, જ્યારે અહીં ગૃહિણીઓએ મોંઘા ભાવના બાટલા ખરીદવા પડે છે. તેમણે વોર્ડ નંબર 1ની પ્રજાને તમામ હકીકતોથી વાકેફ હોવાનું જણાવી કોંગ્રેસની પેનલને વિજયી બનાવવા અપીલ કરી હતી. આ સભામાં મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો અને મહિલાઓ હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 11:23 pm

સાંસદ પૂનમબેન માડમના કોંગ્રેસ પર પ્રહારો:મહિલા આરક્ષણ બિલમાં વિપક્ષનો નકારાત્મક અભિગમ દેશની 70 કરોડ મહિલાઓ માટે અન્યાય સમાન

જામનગર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં જામનગર-દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમે 'નારી શક્તિ વંદન અધિનિયમ' (મહિલા આરક્ષણ બિલ) મુદ્દે કોંગ્રેસ સહિતના વિપક્ષી દળો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વિરોધ પક્ષોની સંકુચિત અને નકારાત્મક માનસિકતાને કારણે જ આ મહત્વપૂર્ણ બિલ દાયકાઓ સુધી અટકેલું રહ્યું, જેણે દેશના સર્વાંગી વિકાસમાં અવરોધ ઊભો કર્યો છે. વિપક્ષોની ઈચ્છાશક્તિના અભાવે મહિલાઓ અન્યાયનો ભોગ બનીસાંસદ પૂનમબેન માડમે ભારપૂર્વક જણાવ્યું હતું કે મહિલા સશક્તિકરણ એ માત્ર રાજકીય સૂત્ર નથી, પરંતુ રાષ્ટ્ર નિર્માણ માટે અનિવાર્ય શરત છે. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો દાયકાઓ સુધી સત્તામાં રહ્યા હોવા છતાં, ઈચ્છાશક્તિના અભાવે આ બિલને લટકાવી રાખ્યું. વિરોધ પક્ષોના આ વલણને કારણે દેશની અડધી વસ્તી એટલે કે 70 કરોડથી વધુ મહિલાઓના વિકાસમાં રુકાવટ આવી છે. જો આ બિલ સમયસર પસાર થયું હોત, તો આજે સંસદ અને વિધાનસભામાં માતાઓ-બહેનોની ભાગીદારી અનેકગણી વધારે હોત. 2029ના અમલીકરણ માટે અત્યારથી જ તૈયારીઓ જરૂરી પૂનમબેન માડમે બિલના અમલીકરણ અંગે વિપક્ષો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોની સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, જો વર્ષ 2029 સુધીમાં 33% મહિલા અનામતને જમીની સ્તરે સાકાર કરવી હોય, તો અત્યારથી જ તેની વ્યવસ્થા ઊભી કરવી અનિવાર્ય છે. અમલીકરણના મુખ્ય પાસાઓતેમણે કહ્યું કે 2011ની વસ્તી ગણતરી મુજબ સીમાંકન કરીને મહિલાઓને તેમનો હક આપવાનો આ યોગ્ય સમય છે. આ પ્રક્રિયાથી દક્ષિણના રાજ્યોની બેઠકો ઘટશે નહીં, પરંતુ તમામ રાજકીય પક્ષો માટે બેઠકોના વિકલ્પો વધશે. નવા સેન્સસની રાહ જોવાને બદલે અત્યારથી જ પ્રક્રિયા શરૂ કરવી એ સરકારની મક્કમતા દર્શાવે છે. આ બિલ સમગ્ર રાષ્ટ્રની મહિલાઓ માટે છેસાંસદે ઉમેર્યું કે લોકસભામાં વિપક્ષ દ્વારા જે શંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી, તેનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ખૂબ જ તાર્કિક અને મજબૂતીથી જવાબ આપ્યો છે. આ બિલ કોઈ એક પક્ષ માટે નહીં પણ સમગ્ર રાષ્ટ્રની મહિલાઓ માટે છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 11:09 pm