SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
... ...View News by News Source

ફ્લાવર શોમાં નિહાળેલા રોપા તમારા ઘરે લાવી શકશો:શહેરના અલગ અલગ વિસ્તારની ચાર નર્સરી પરથી ખરીદી કરાશે,પ્રતિ રોપાનો ભાવ રૂ. 10 થી 235

સાબરમતી રિવરફ્રન્ટ પર 1 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી યોજાયેલા ફ્લાવર શોમાં અલગ અલગ જાતિના રોપાઓ રાખવામાં આવ્યા હતા. જે રોપાનું વેચાણ કરવાનું નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગ લેવામાં આવ્યો છે. શહેરમાં આવેલી ચાર જેટલી મ્યુનિસિપલ કોર્પોરેશનની નર્સરીઓ ઉપરથી આ તમામ અલગ અલગ પ્રજાતિના રોપાઓ નાગરિકો ખરીદી શકશે. પ્રતિ રોપાનો ભાવ 10 રૂપિયાથી લઈને 235 રૂપિયા સુધી રાખવામાં આવ્યો છે. નાગરિકો 1 નંગથી લઇ 1,000થી વધારે ફુલના રોપાઓ લઈ શકશે. લોકોએ જે રોપા નિહાળ્યા તે હવે ખરીદી ઘરે લાવી શકશેસાબરમતી રિવરફ્રન્ટ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ ફૂલના રોપાઓ વાવવામાં આવ્યા હતા અને તેનું પ્રદર્શન નાગરિકોએ નિહાળ્યું હતું. જેમાં ગજેનીયા, ડાયન્થસ, સિલોસીયા, વિન્કા, કેલેન્ડુલા, ઓર્નામેન્ટલ કેલ, બીગોનીયા, હાયપોસ્ટીસ, સિલ્વર ડસ્ટ, પીટુનીયા, યુફોર્બીયા, કોલીયસ, સેવંતી, સાલ્વીયા, એસ્ટર, ડાયન્થસ, પીટુનીયા, ગ્રીન-રેડ અલ્ટનેન્થેરા વગેરે પ્રકારના રોપાઓ હતા. આ રોપાઓને વેચવાનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે જે શહેરના ચાંદખેડા, એલિસબ્રિજ, નવરંગપુરા અને સાયન્સ સીટી વિસ્તારમાં આવેલી નર્સરીઓ ખાતે વેચાણ કરવામાં આવશે. પ્રતિ રોપાના રૂ. 10 થી 235 ચૂકવવાના રહેશેરિવરફ્રન્ટ પર યોજાયેલા ફ્લાવર શોમાં જે ફૂલો ના રોપા ની જાત વેચાણ કરવાની છે તેના માટે 1થી 100 નંગ, 100 નંગથી 1000 નંગ અને 1000થી વધુ નંગના ભાવો નક્કી કરવામાં આવ્યા છે. અલગ અલગ જાતના ભાવો રાખવામાં આવ્યા છે જેમાં 10 રૂપિયાથી શરૂ કરીને 235નો ભાવ રાખવામાં આવ્યો છે. જો એક સાથે વધારે રોપાવો ખરીદવામાં આવે તો તેના માટેનો ભાવ ઓછો રાખવામાં આવ્યો છે. ડાયન્થસ, પીટુનીયા, ગ્રીન-રેડ અલ્ટનેન્થેરા વગેરે પ્રકારના રોપાઓ માત્ર 1000 નંગ સુધી જ લઈ જઈ શકાશે. આ રોપાવો ખૂબ ઓછા હોવાના કારણે એટલા મોટા પ્રમાણમાં લઈ જઈ શકાશે નહીં. આ સ્થળો પરથી રોપાની ખરીદી કરી શકાશે

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 12:05 am

ખતરનાક મોડસ ઓપરેન્ડીથી દેશના ત્રણ રાજ્યમાં તસ્કરી:સુરત પોલીસે આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી રીઢા ગુનેગારોની ગેંગ ઝડપી, બચવા 'ZANGI' મોબાઈલ એપ વાપરતા

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીની ઘટનાઓનો ભેદ ઉકેલવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ટેકનોલોજીનો દુરુપયોગ કરી પોલીસને થાપ આપતી મહારાષ્ટ્રની ખતરનાક ગેંગના બે સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડ અને કિંમતી ઘડિયાળો સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપીઓ અગાઉ જેલમાં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને ત્યાંથી જ આ ટોળકી બનાવી હતી. હાઈટેક પદ્ધતિથી પોલીસને આપતા હતા થાપઆ ગેંગની સૌથી ચોંકાવનારી બાબત તેમની કામ કરવાની પદ્ધતિ છે. ધરપકડ અને ટ્રેકિંગથી બચવા માટે આરોપીઓ સામાન્ય કોલિંગને બદલે 'ZANGI' નામની મોબાઈલ એપ્લિકેશન અને વર્ચ્યુઅલ મોબાઈલ નંબરનો ઉપયોગ કરતા હતા. આ ઉપરાંત, ચોરી કર્યા બાદ પુરાવા નાશ કરવા માટે તેઓ મકાનમાં લાગેલા CCTV કેમેરાનું DVR પણ સાથે ચોરી કરી જતા હતા, જેથી તેમની ઓળખ ન થઈ શકે. ગુજરાત પાસિંગની ગાડી અને રેકીનું નેટવર્કતપાસમાં ખુલાસો થયો છે કે આ ગેંગે ગુજરાતમાં ગુના આચરવા માટે ખાસ ગુજરાત પાસિંગની સેકન્ડ હેન્ડ ફોર વ્હીલર ગાડી ખરીદી હતી. જેથી સ્થાનિક સ્તરે કોઈને શંકા ન જાય. તેઓ દિવસ દરમિયાન બંધ મકાનોની રેકી કરતા હતા અને રાત્રિના સમયે ચોરીને અંજામ આપતા હતા. તાજેતરમાં જ તેમણે સુરતના અડાજણ વિસ્તારમાં બે મોટી ઘરફોડ ચોરી કરી હતી, જેનો ભેદ હવે ઉકેલાઈ ગયો છે. ઝડપાયેલા આરોપીઓ અને ગુનાહિત ઈતિહાસપોલીસે મુંબઈ અને મહારાષ્ટ્રના રહેવાસી એવા બે રીઢા આરોપીઓની ધરપકડ કરી છે. સલીમ ઉર્ફે સાહીલ શેખ આ આરોપી અત્યંત ખતરનાક માનવામાં આવે છે, જેના વિરુદ્ધ માત્ર કર્ણાટકમાં જ 40 જેટલા ઘરફોડ ચોરીના ગુના નોંધાયેલા છે. સરફરાજ શેખ આ ગેંગનો સક્રિય સભ્ય છે. આ ગેંગ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોમાં પણ સક્રિય હતી અને અનેક ગુનાઓને અંજામ આપી ચૂકી છે. રૂ. 4.28 લાખનો મુદ્દામાલ કબજે કરાયોક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી ચોરીમાં વપરાયેલી ફોર વ્હીલર ગાડી, 28 કિંમતી કાંડા ઘડિયાળ, રોકડ રકમ સહિત કુલ 4.28 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. હાલમાં સુરત પોલીસ આ ટોળકીના અન્ય સભ્યો અને તેમણે રાજ્યમાં અન્ય કઈ કઈ જગ્યાએ ચોરી કરી છે તે દિશામાં સઘન પૂછપરછ કરી રહી છે. આઇ આર જાડેજા (પીઆઇ) એ જણાવ્યું હતું કે, સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વણશોધાયેલ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધવા માટે અલગ-અલગ ટીમો કાર્યરત હતી. એક માહિતી મળેલ કે સરફરાજ સબ્બીર શેખ (રહે. બોઇસર, મુંબઈ) અને તેનો સાગરીત સલીમ ઉર્ફે સાહિલ રફીક શેખ (રહે. બેંગલોર, કર્ણાટક) સુરત ખાતે આવીને એક મહિના પહેલા ડસ્ટર ગાડી સેકન્ડ હેન્ડ કાર મેળામાંથી મેળવી હતી. આ આરોપીઓ સુરતના અલગ-અલગ વિસ્તારોમાં બંધ ઘરોની રેકી કરતા હતા. અડાજણ ખાતે બે મકાનોને ટાર્ગેટ કરી, ત્યાંથી સોના-ચાંદીના દાગીના અને કિંમતી ઘડિયાળોની ચોરી કરી હતી. તેઓ ચોરી કર્યા બાદ DVR પણ સાથે લઈ જતા હતા જેથી પુરાવા ન મળે. બંને આરોપીઓ સાથે ત્રીજો સાગરીત બિલાલ મંડલ પણ સંડોવાયેલ હતો, જેને પકડવાની તજવીજ ચાલુ છે.આ ત્રણેય આરોપીઓ અગાઉ જેલમાં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને ત્યાંથી જ આ ટોળકી બનાવી હતી.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 9:42 pm

અંતે ત્રણમાંથી એક ગાર્ડનનું લોકાર્પણ થશે:બે ગાર્ડન લોકાપર્ણની તૈયારીમાં, શહેરમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા AMC ટ્રાફિક સેલ બનાવવામાં આવશે

કરોડો રૂપિયાનો ખર્ચ કરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રજા માટે સુવિધા ઉભી કરવામાં આવે છે પરંતુ સમયસર લોકાર્પણ કરવામાં આવતું નથી. જેના કારણે લોકો સુવિધાનો લાભ લઈ શકતા નથી. ત્યારે અમદાવાદ શહેરમાં ત્રણ જેટલા ગાર્ડન બનીને તૈયાર છે. જેમાંથી એક ગાર્ડનનું આખરે આવતીકાલે 2 ફેબ્રુઆરીના રોજ કુબેરનગર વિસ્તારના જી વોર્ડમાં ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવશે. જ્યારે બે ગાર્ડન હજી સુધી લોકાર્પણ કરાયા નથી. ગાર્ડનના નામ કરણને લઈને તેનું લોકાર્પણ કરાયું નહોતું જોકે આખરે હવે હંમેશા વિવાદમાં રહેતા સરદાર નગર વોર્ડમાં આખરે નામકરણ બાદ ગાર્ડન લોકો માટે ખુલ્લુ મુકવામાં આવશે. સરદારનગરમાં નવનિર્મિત ગાર્ડનનું લોકાર્પણ કરાશેમ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરદાર નગર વોર્ડમાં આવતા કુબેરનગર જી વોર્ડ પાસે હોમાગાર્ડ મેદાન ઓફિસની પાછળ નવો ગાર્ડન બનાવવામાં આવ્યો છે. જેમાં લોકોને બેસવાની વ્યવસ્થા માટે ગજેબો, લાઈટ, ચાલવાની વ્યવસ્થા સાથે ગાર્ડન નવેમ્બર 2025માં જ તૈયાર થઇ ગયો હતો. જોકે આ ગાર્ડનને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું નહોતું. લાંબા સમયથી લોકાર્પણની રાહ જોઇ રહ્યો હતો. સુત્રો મુજબ ગાર્ડનનું નામ આપવા માટે તેનું સમયસર લોકાર્પણ થયું નહોતું. આખરે સરદારનગર વિસ્તારમાં ગાર્ડનનું નામ સાંઇ ઝુલેલાલ ગાર્ડન તરીકેનું નામકરણ મંજુર થયા બાદ તેનું લોકાર્પણ આવતીકાલે બે ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે. લાંભાના તળાવ અને ગાર્ડનનુંમંગળવારે લોકાર્પમ કરાશેઆ ઉપરાંત લાંભા ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાંભા તળાવ ગાર્ડનનો વિકાસ કરવામાં આવ્યો છે. જેનું પણ મંગળવારે લોકાર્પણ કરવામાં આ‌વશે. જ્યારે લાંભા તળાવ પાછળ નવા બનાવવામાં આવનાર પાર્ટીપ્લોટ અને વટવા ટર્નિગ પાસે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું પણ ખાતમૂહુર્ત કરવામાં આવશે. આ સિવાય વટવા વિસ્તારમાં પણ મ્યુનિ. દ્વારા તૈયાર કરવામાં આ‌વેલા એક ગાર્ડનને આગામી દિવસોમાં લોકાર્પણ થશે. ટ્રાફિક સેલની રચના કરવાની વિચારણાઅમદાવાદ શહેરની સૌથી મોટી સમસ્યા ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે ટ્રાફિક સેલની રચના કરવામાં આવે તેવી શક્યતા છે. ચાર રસ્તાઓ પર લેફ્ટ ટર્ન ફ્રી, ટ્રાફીક માટે સર્કલની ડીઝાઇન સહિત અનેક બાબતોમાં ટ્રાફિક પોલીસના સંકલનમાં રહીને મ્યુનિસિપલ કોર્પોરેશનનો ટ્રાફિક સેલ કામ કરે તેવી શક્યતા છે. સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય તેના માટે હવે નવેસરથી ટ્રાફિક સેલની રચના કરવામાં આવશે. જેમાં ટ્રાફિકમે લગતાં પ્રશ્નોમાં પાર્કિંગની મહત્તમ વ્યવસ્થા કઇ રીતે થઇ શકે તે દિશામાં પણ ચકાસણી કરશે. સાથે શહેરમાં હાલ ચાલતાં સિંગ્નલ પણ યોગ્ય રીતે ચાલે છે કે કેમ? તેમાં કયા પ્રકારની બદલાવ જરૂરી છે, પગપાળા જતાં નાગરીકો માટે યોગ્ય ફુટપાથ છે કે કેમ? કયા પ્રકારના રોડ પર કેવી ફુટપાથ હોવી જોઇએ સહિતની અનેક બાબતોની સમિક્ષા કરીને તેના અમલની દિશામાં આ સેલ યોગ્ય કામગીરી કરશે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 9:26 pm

ગાંઠીલા ઉમિયાધામ ખાતે પાટીદાર ચિંતન શિબિર..:​સરપંચથી સંસદ સુધી પાટીદારોનું વર્ચસ્વ બમણું કરવાનો લક્ષ્યાંક: જૂનાગઢમાં ટૂંક સમયમાં યોજાશે ભવ્ય રેલી, ભાગેડુ લગ્નપ્રથા અને EWS મુદ્દે સરકાર સામે હુંકાર.

વંથલી તાલુકાના ગાંઠીલા ખાતે આવેલ સુપ્રસિદ્ધ કડવા પાટીદાર સમાજની આસ્થાના કેન્દ્ર ઉમાધામ ઉમિયા માતાજી મંદિર ખાતે પાટીદાર સમાજની એક મહત્વપૂર્ણ ચિંતન શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં સમાજની એકતા, યુવાનોનું ભવિષ્ય, રાજકીય પ્રતિનિધિત્વ અને સામાજિક દૂષણોને ડામવા જેવા અનેક ગંભીર મુદ્દાઓ પર ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ શિબિર આગામી સમયમાં પાટીદાર સમાજની નવી રણનીતિ નક્કી કરવા માટેનો પાયો સાબિત થશે તેવું દેખાઈ રહ્યું છે. ​ચિંતન શિબિરને સંબોધન કરતા પાટીદાર અગ્રણી વરુણ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, પાટીદાર આંદોલનને કારણે આજે સમાજને શિક્ષણ અને રોજગારમાં EWS અનામતનો લાભ મળી રહ્યો છે, પરંતુ આ આંદોલનમાં 14 યુવાનોએ શહીદી વહોરી છે અને સમાજને રાજકીય રીતે પણ મોટું નુકસાન થયું છે. તેમણે સંકલ્પ જાહેર કર્યો હતો કે આગામી સમયમાં ગ્રામ પંચાયતના સરપંચથી લઈને દેશની સંસદ સુધી પાટીદારોની સંખ્યા બમણી કરવામાં આવશે. આ સાથે જ તેમણે સરકારને ચીમકી આપી હતી કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ આર્થિક ધોરણે અનામત (EWS) લાગુ થવું જોઈએ. ​વરુણ પટેલે ગાંઠીલામાં ઓઝત નદી પર છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલા બ્રિજના ધીમા કામને સમાજ માટે કલંકરૂપ ગણાવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે માતાજીના ધામને વિકાસથી અળગો રાખવાની સાજિશ ચાલી રહી છે. આ વિકાસના કામો તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ સાથે તેમણે જાહેર કર્યું હતું કે આગામી 30 દિવસમાં જૂનાગઢ ખાતે એક જંગી સભા અને ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવશે, જે સૌરાષ્ટ્રના ઈતિહાસમાં એક નવો વળાંક આપશે. ​શિબિરમાં મોરબીના પાટીદાર અગ્રણી મનોજ પનારાએ યુવા પેઢીને જાગૃત કરતા જણાવ્યું હતું કે, યુવાનોએ જુગાર, દારૂ અને ડિજિટલ ગેમિંગ જેવા દૂષણોથી દૂર રહેવું જોઈએ. તેમણે વ્યાજખોરીના રાક્ષસ સામે લડત ચલાવી અનેક પાટીદાર યુવાનોને આ ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા છે અને તેમની ગિરવે મુકેલી જમીનો પરત અપાવી છે. તેમણે સમાજને વ્યાજમાફિયાઓ સામે સંગઠિત થઈને લડવા આહવાન કર્યું હતું. ​ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ-ગાંઠીલાના પ્રમુખ નિલેશભાઈ ધુલેશિયાએ શિબિરના હેતુ વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ ચિંતન બેઠક સમાજની એકતા અને વિકાસ માટે છે. ખાસ કરીને ભાગેડુ લગ્નપ્રથા વિરુદ્ધ કડક કાયદો બનાવવાની માંગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. સરકારે આ અંગે જે વચન આપ્યું હતું તે વહેલી તકે પૂરું કરે તેવી લાગણી વ્યક્ત કરાઈ હતી. આ ઉપરાંત ગાંઠીલા સોનારડી રોડનું કામ શરૂ કરવા અને અહીં રિવરફ્રન્ટ બનાવવા માટે સરકારમાં ટૂંક સમયમાં રજૂઆત કરવામાં આવશે. ​ચિંતન શિબિરમાં EWS યોજનાના લાભો વિશે યુવાનોમાં જાગૃતિ લાવવા અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને સરકારની યોજનાઓનો મહત્તમ લાભ મળે તે દિશામાં કામ કરવાની ખાતરી આપવામાં આવી હતી. સમાજમાં રાજકીય જાગૃતિ આવે અને સંગઠન વધુ મજબૂત બને તે માટે યુવાનોને આગેવાનોના આદેશને ઝીલી લેવા અપીલ કરવામાં આવી હતી. રાજકીય પ્રતિનિધિત્વ વધારવા માટે આગામી સમયમાં રણનીતિ ઘડવામાં આવશે. ​જ્યારે પત્રકારોએ આ બેઠકને ચૂંટણી પહેલાનું શક્તિ પ્રદર્શન ગણાવવા અંગે સવાલ કર્યો, ત્યારે વરુણ પટેલે જણાવ્યું કે આ માત્ર અપેક્ષિત આગેવાનોની આયોજનલક્ષી બેઠક હતી. સાચું શક્તિ પ્રદર્શન તો આગામી 30 દિવસમાં જૂનાગઢની ધરતી પર યોજાનારી જંગી રેલીમાં જોવા મળશે. આ ચિંતન શિબિરને સફળ બનાવવા માટે ગાંઠીલા મંદિરની યુવા સમિતિના અધ્યક્ષ વિનસ હદવાણી અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. ​સમગ્ર શિબિર દરમિયાન 'જય ઉમિયા'ના નાદ સાથે પાટીદાર સમાજે પોતાની માંગણીઓ માટે મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ અને આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પાટીદાર અગ્રણીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ચિંતન શિબિરથી સ્પષ્ટ સંકેત મળ્યો છે કે પાટીદાર સમાજ હવે સામાજિક પ્રશ્નોની સાથે રાજકીય ભાગીદારી માટે પણ આક્રમક મૂડમાં છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 9:22 pm

રાજકોટના બે યુવાનોએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા:શિવધારા સોસાયટી ઘરે પાણીના ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત, કાર એસેસરીઝનો ધંધો કરતા વેપારી સાથે 28.50 લાખની છેતરપિંડી

રાજકોટ શહેરના મટુકી રેસ્ટોરન્ટની સામે શિવધારા સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં પાણીના ટાંકામાં એક મહિલા ડૂબી જતા તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર બ્રિગેડ ટીમ તથા 108 સ્થળ પર પહોંચી હતી અને પાણીના ટાંકામાંથી મહિલા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો જે બાદ 108ના તબીબે તપાસી મૃત જાહેર કરતા બનાવ અંગ પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ ટિમ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મહિલાના પતિ રવિભાઈ કપુરીયાને બનાવ અંગે કારણ પૂછતાં તેઓ પણ અજાણ હોવાથી 15 ફૂટ ઊંડા પાણીના ટાંકામાં મહિલા કેવી રીતે ડૂબી તે જાણવા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. મૃતક મહિલાનું નામ ચંદ્રિકાબેન કપુરીયા હોવાનું અને તેમના લગ્ન 10 વર્ષ પહેલા થયા હોવાનું અને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હોવાનું સામે આવ્યું છે જેઓ પોતાના સાસુ સસરા સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. હાલ અકસ્માત મોત અંગે નોંધ કરી તાલુકા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. ગળેફાંસો ખાઈ બે યુવાનોએ કરી આત્મહત્યા રાજકોટ શહેરના ટાગોર રોડ પર વિરાણી હાઈસ્કૂલ પાછળ સર્વોદય સોસાયટીમાં રહેતા વિશાલ ગોવિંદભાઇ ભડેલિયા (ઉ.વ.28) એ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા મોત નીપજ્યું હતું બનાવ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા એ ડિવિઝન પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી મોતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. જયારે બીજા બનાવમાં કુવાડવા મેરીગોલ્ડ કંપની ખાતે રામજી અશ્વિનભાઈ વનાણી (ઉ.વ.19)એ ગળેફાંસો ખાઈ લેતા 108 ટીમે સ્થળ પર પહોંચી તપાસી મૃત જાહેર કરી બનાવ અંગે કુવાડવા પોલીસને જાણ કરતા કુવાડવા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી મોતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.28.50 લાખની છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાઈ રાજકોટ શહેરમાં છેતરપિંડીની વધુ એક ફરિયાદ નોંધાઈ છે જેમાં ટાગોર રોડ પર કાર એસેસરીઝનો શોરૂમ ધરાવતા નિમેશભાઇ રૂઘાણી (ઉં.વ.55)ને 'ડીઝલ ઓટો કોર્પોરેશન' નામની પેઢીના સંચાલકોએ રોકાણ પર ઉંચુ વળતર મળશે તેવી લાલચ આપી 28.50 લાખ પડાવી લીધા છે. આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઇ 10થી 13 મહિનામાં મોટું વળતર મળશે તેવી લોભામણી સ્કીમ આપી અલગ-અલગ બે સ્કીમોમાં કુલ રૂ.32,00,000 રોકડેથી રોકાણ કરાવ્યું હતું. જેની સામે ફરિયાદીનો વિશ્વાસ જીતવા માટે આરોપીઓએ શરૂઆતમાં ચેક દ્વારા ત્રણ હપ્તામાં કુલ રૂ.3,50,000 પરત કર્યા હતા ત્યારબાદ બાકી રહેતી રૂા. 28,50,000ની મૂળ રકમ કે તેના પરનું વળતર પરત કરવામાં આવ્યું ન હતું જેથી રકમ પરત માંગતા આરોપીઓએ ગલ્લાતલ્લા કરતા અંતે છેતરપિંડી થયાનો અહેસાસ થતા નિમેશભાઇએ પોલીસનો સંપર્ક કર્યો હતો. હાલ બનાવ અંગે એ ડિવિઝન પોલીસે 'ડીઝલ ઓટો કોર્પોરેશન' સાથે સંકળાયેલા ​સંચાલક મહેન્દ્રભાઇ મહેતા, હિતેષભાઇ મહેન્દ્રભાઇ મહેતા, નમનભાઇ હિતેષભાઇ મહેતા અને કર્મચારી ચંપકભાઇ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંજાના જથ્થા સાથે યુવાન ઝડપાયો રાજકોટ શહેર SOG ટિમને મળેલી બાતમીના આધારે આજીડેમ ચોકડી પાસે બાલાજી રેસ્ટોરન્ટ સામે શક્તિ ઓટો ગેરેજ પાસેથી એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો જેની પુછપરછ કરતા તેનું નામ અશ્વીન ઉર્ફે જોગીડો પ્રવિણભાઇ સોલંકી (ઉ.વ.22) હોવાનું સામે આવ્યું હતુ. જેની અંગ જડતી કરતા પાસેથી રૂપિયા 1,82,300 કિંમતનો 3.646 કિલોગ્રામ માદક પદાર્થ ગાંજો, રૂપિયા 10,000 કિંમતનો એક રેડમી કંપનીનો ટચસ્ક્રીન મોબાઈલ ફોન, 700 રૂપિયા રોકડ રકમ અને ગુનામાં વપરાયેલ 50,000 કિંમતનું નંબર પ્લેટ વગરનું એક એક્સેસ મોટર સાયકલ મળી કુલ 2,43,000નો મુદ્દામાલ કબ્જે કરી આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. 13 વર્ષથી નાસ્તા ફરતા આરોપીની ધરપકડ રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણ, દુષ્કર્મ તથા એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનામાં છેલ્લા 13 વર્ષથી નાસ્તા ફરતા આરોપી પપ્પુ રાલીયા (ઉ.વ.52)ની અમદાવાદના બગોદરા ખાતેથી પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી પપ્પુ રાલીયા 16.10.20213ના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી યુવતીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરી નાસી ગયો હતો જે અંગે ફરિયાદ નોંધાયા બાદ આજ દિવસ સુધી આરોપી નાસ્તો ફરતો હતો જેને ઝડપી પાડી ગાંધીગ્રામ પોલીસને સોંપી આગળની તપાસ ગાંધીગ્રામ પોલીસને સોંપવામાં આવી છે જેના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 9:19 pm

વાપીમાં પહેલી વખત 'હલ્દી-કુમકુમ' કાર્યક્રમ યોજાયો:વિધવા અને વીર નારીઓનું સન્માન કરી નવી પરંપરાનો પ્રારંભ

વાપીના ચણોદ વિસ્તારમાં સંજય શિંદે અને શ્રીદેવી શિંદે પરિવાર દ્વારા એક અનોખા 'હલ્દી-કુમકુમ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે સૌભાગ્યવતી સ્ત્રીઓ પૂરતો સીમિત મનાતો આ તહેવાર, આ વખતે વિધવા બહેનો અને 'વીર નારીઓ'નું સન્માન કરીને એક નવી પરંપરાનો પ્રારંભ કરાયો. રવિવારે વાપી GIDC સ્થિત કચ્છી ભાનુશાલી હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રીયન સંસ્કૃતિ અને પરંપરાનો અનોખો સંગમ જોવા મળ્યો. ટ્રેડિશનલ લૂકમાં સજ્જ અંદાજે 800થી વધુ મહિલાઓએ આ ઉત્સવમાં ભાગ લીધો હતો. મહારાષ્ટ્રમાં મકર સંક્રાંતિ બાદ રથસપ્તમી સુધી હલ્દી-કુમકુમનું વિશેષ મહત્વ હોય છે, જે અંતર્ગત આ ભવ્ય આયોજન કરાયું. કાર્યક્રમના આયોજક અને અશ્વિની તાઈ રાણેએ જણાવ્યું હતું કે, 'અમે એક નવી વિચારધારા સાથે આ પહેલ કરી છે. સમાજમાં એવી માન્યતા છે કે હલ્દી-કુમકુમ માત્ર સુહાગન મહિલાઓ જ કરી શકે. પરંતુ અમારું માનવું છે કે ભલે પતિ સાથે ન હોય, પણ સ્ત્રીના જીવનમાં અને તેના દસ્તાવેજોમાં પતિનું નામ કાયમ રહે છે. તો તેમને આ ખુશીના અવસરથી વંચિત કેમ રાખવા?' તેમણે ઉમેર્યું કે, 'અમે પેરામિલિટ્રીની વીર નારીઓ અને અન્ય બહેનોનું સન્માન કરીને સમાજને એક નવો સંદેશ આપવા માંગીએ છીએ.' આ પ્રસંગે અખિલ ભારતીય મહિલા ગુજરાત રાજ્ય પ્રમુખ (NCP) નિશા પ્રજાપતિ, શૌર્ય રક્ષા ચેરિટેબલ ટ્રસ્ટના ઓનર અશ્વિની તાઈ રાણે સહિત અનેક સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય બાદ મહિલાઓ માટે રમત-ગમત, ગિફ્ટ વિતરણ અને નૃત્યના કાર્યક્રમો પણ યોજાયા હતા. ઉપસ્થિત મહિલાઓએ આ પહેલને બિરદાવતા કહ્યું હતું કે, આવા કાર્યક્રમોથી સ્ત્રીઓને સમાજમાં સમાન સન્માન અને નવી ઓળખ મળે છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 8:57 pm

સુરત એરપોર્ટ પર સૈફ-કરીનાએ જમાવ્યું આકર્ષણ:ISPL મેચ જોવા 'પટોડી કિંગ' પત્ની-બાળકો સાથે આવ્યા, એરપોર્ટ પર ફેન્સનો ભારે જમાવડો

ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં આજે બોલિવૂડના 'નવાબ' સૈફ અલી ખાન અને 'બેબો' કરીના કપૂર ખાનના આગમનથી ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મુંબઈથી પોતાના પરિવાર સાથે ખાસ સુરત પહોંચેલા આ સ્ટાર કપલનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર મોટી સંખ્યામાં ચાહકોની ભીડસૈફ અને કરીના જેવા દિગ્ગજ કલાકારો સુરત આવી રહ્યા હોવાની જાણ થતા જ એરપોર્ટ પર મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આ સ્ટાર પરિવાર એરપોર્ટથી સીધો જ કાર્યક્રમ સ્થળ તરફ રવાના થયો હતો. ટીમ 'કોલકતા ટાઈગર' ને સપોર્ટ કરવા પરિવાર સાથે હાજરી આપીસુરતના જાણીતા લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે આજે ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL) અંતર્ગત એક રોમાંચક મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેચ કોલકતા ટાઈગર્સ વિરુદ્ધ અમદાવાદ વચ્ચે રમાઈ રહી હતી. સૈફ અલી ખાન અને કરીના કપૂર તેમની ટીમ 'કોલકતા ટાઈગર' ને પ્રોત્સાહન આપવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ મેચ દરમિયાન સૈફ અને કરીના સ્ટેન્ડમાં બેસીને મેચનો આનંદ માણતા અને ટીમનો ઉત્સાહ વધારતા જોવા મળ્યા હતા. તેમની સાથે તેમનો પરિવાર પણ હાજર રહ્યો હતો, જેણે પ્રેક્ષકોમાં ભારે આકર્ષણ જગાવ્યું હતું. સ્ટાર કપલની હાજરીથી ચાહકોનો જોશ બમણો થઈ ગયો સુરતમાં રમાઈ રહેલી ISPL મેચોને કારણે શહેરના રમતગમતના વાતાવરણમાં બોલિવૂડનો ગ્લેમર ઉમેરાયો છે. સૈફ-કરીનાની હાજરીથી સ્ટેડિયમમાં બેઠેલા હજારો ચાહકોનો જોશ બમણો થઈ ગયો હતો. મેચ દરમિયાન જ્યારે પણ કોલકતાની ટીમ ચોગ્ગા-છગ્ગા ફટકારતી ત્યારે આ સ્ટાર કપલ પણ ઉભા થઈને ટીમને ચીયર કરતું નજરે પડ્યું હતું. સુરત હવે માત્ર વેપાર માટે જ નહીં પરંતુ, આવા મોટા સ્પોર્ટ્સ અને બોલિવૂડ ઇવેન્ટ્સ માટે પણ મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 8:34 pm

બજેટ પર SP યુનિ.ના પ્રો. ડો. સોનલ ભટ્ટની પ્રતિક્રિયા:બજેટ 'રિયલ ઇકોનોમી' પર ભાર, બજારમાં સટ્ટાખોરી પર લગામ લગાડનાર ગણાવ્યું

કેન્દ્રીય બજેટની આણંદના શૈક્ષણિક અને ઔદ્યોગિક વર્તુળોમાં વ્યાપક ચર્ચા થઈ રહી છે. સરદાર પટેલ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના પ્રોફેસર ડો. સોનલ ભટ્ટે આ બજેટને 'રિયલ ઇકોનોમી' તરફ લઈ જનારું ગણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, આ બજેટ લ્હાણી કરવાને બદલે માળખાગત સુવિધાઓ અને રોજગારી નિર્માણ પર કેન્દ્રિત છે. બજેટમાં ટેક્સ સ્લેબ યથાવત રાખવામાં આવ્યો છે, પરંતુ સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT)માં વધારો કરીને નાણામંત્રીએ જોખમી સટ્ટાખોરી પર લગામ કસી છે. પ્રો. ભટ્ટના મતે, શેરબજારમાં ફ્યુચર અને ઓપ્શન (FO) ટ્રેડિંગ કરનારા વર્ગને હવે વધુ ટેક્સ ચૂકવવો પડશે. આની સીધી અસર આણંદના એવા યુવાનો પર પડશે જેઓ ઝડપી નફો મેળવવા સટ્ટાકીય સોદા કરે છે. સરકારનો ઉદ્દેશ્ય નાણાંના પ્રવાહને જોખમી સટ્ટાથી હટાવી લાંબા ગાળાના સુરક્ષિત રોકાણ તરફ વાળવાનો છે. આણંદ-વિદ્યાનગર જેવા શૈક્ષણિક ધામ માટે પણ બજેટ આશાસ્પદ છે. સંતાનોના ઉચ્ચ શિક્ષણ માટે લોન લેનાર મધ્યમ વર્ગના પરિવારોને ટેક્સમાં વધુ રાહત મળશે, જ્યારે કરદાતાઓ માટે ITR પ્રક્રિયા સરળ બનશે. ફાર્મા ક્ષેત્રે 3 નવા રાષ્ટ્રીય સંસ્થાનો અને ₹40,000 કરોડના સેમી-કંડક્ટર મિશનથી ચરોતરના એન્જિનિયરિંગ અને ફાર્મસીના વિદ્યાર્થીઓ માટે સંશોધન અને નોકરીની નવી ક્ષિતિજો ખુલશે. MSME એકમો માટે ₹10,000 કરોડનું ભંડોળ જાહેર કરાયું છે, જેનાથી દેશભરના તેમજ આણંદ-વિઠ્ઠલ ઉદ્યોગનગરના એકમોને વેગ મળશે. રમતગમતના સાધનો અને ટેક્સ્ટાઇલ પાર્કની ફાળવણી સ્થાનિક ઉત્પાદકોને નવી ઊર્જા આપશે. કાચા માલની આયાત પર કસ્ટમ ડ્યૂટી ઘટતા ઉત્પાદન ખર્ચ ઘટશે અને 'આત્મનિર્ભર ભારત' હેઠળ સ્થાનિક રોજગારી વધશે. પૂર્વથી પશ્ચિમ સુધીનો નવો ફ્રેઇટ કોરિડોર આણંદની ડેરી અને મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગો માટે પરિવહન સસ્તું અને ઝડપી બનાવશે. શિક્ષણ અને પ્રવાસનને જોડતા પ્રોફેસરે નોંધ્યું કે, ઇન્ડિયન હોસ્પિટાલિટી મેનેજમેન્ટ સંસ્થાની શાખાઓનો કાયાકલ્પ અને નવા યુનિવર્સિટી નગરોથી સર્વિસ સેક્ટરમાં નોકરીઓ ઉભી થશે. ખાસ કરીને સોશિયલ મીડિયા કોન્ટેન્ટ ક્રિએટર્સ માટે તાલીમ સંસ્થાનની જાહેરાત આજના ડિજિટલ યુવાનો માટે કારકિર્દીનો નવો માર્ગ ખોલશે. ચરોતરના ખેડૂતોને બાગાયતી ખેતી તરફ વળવા પ્રોત્સાહન અપાયું છે. ખંભાત જેવા દરિયાકાંઠાના માછીમારો માટે ઓફ-શોર ઉપજને કસ્ટમ વેરામાંથી મુક્તિ આપવી એ ક્રાંતિકારી પગલું છે. આનાથી મત્સ્ય ઉદ્યોગની નિકાસ વધશે. આમ, આ બજેટ ફાઇનાન્સિયલ ઇકોનોમીથી ફોકસ હટાવી ખેતી, ઉદ્યોગ અને શિક્ષણ જેવી ‘રિયલ ઇકોનોમી’ને મજબૂત કરનારું સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 8:31 pm

23 ગુનામાં સંડોવાયેલો ખેર ચોર ટ્રક સાથે ઝડપાયો.:વલસાડ વન વિભાગની કાર્યવાહી, કોર્ટે જેલ હવાલે કર્યો

વલસાડ વન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વન સંપદાની ચોરી સામે કડક કાર્યવાહી કરી છે. વલસાડ ઉત્તર વન વિભાગે 23 વન ગુનાઓમાં સંડોવાયેલા એક રીઢા ગુનેગારને 16 ટન ખેરના લાકડા ભરેલા ટ્રક સાથે ઝડપી પાડ્યો છે. કોર્ટે આરોપીને જેલ હવાલે કરવાનો આદેશ કર્યો છે. મુખ્ય વન સંરક્ષક ડૉ. બી. સુચિન્તાની સૂચના અને નાયબ વન સંરક્ષક શ્રી લોકેશ ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ, આરક્ષિત વૃક્ષોના ગેરકાયદેસર કટીંગ અને વેચાણને રોકવા માટે એક ખાસ ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમમાં મદદનીશ વન સંરક્ષક (ધરમપુર), ચીખલી RFO આર.સી. ગાવિત, વાંસદા પશ્ચિમ RFO સી.આર. પટેલ અને પંગારીબારી RFO એચ.એસ. પટેલનો સમાવેશ થતો હતો. બાતમીના આધારે ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન, અર્જુનભાઈ નીછાભાઈ પટેલ (રહે. ગોડથલ, પટેલ ફળિયું) ને ટ્રક નંબર GJ-15 AX-0644 સાથે આંતરવામાં આવ્યો હતો. ટ્રકની તલાશી લેતા તેમાંથી ગેરકાયદેસર રીતે કપાયેલા અને ઘડતર કરેલા 754 નંગ ખેરના લાકડા મળી આવ્યા હતા, જેનું વજન આશરે 16 ટન અને ઘન મીટર 11.757 હતું. વન વિભાગની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલ આરોપી અર્જુન પટેલ રીઢો ગુનેગાર છે અને તેની વિરુદ્ધ અગાઉ 23 જેટલા વન ગુનાઓ નોંધાયેલા છે. વન વિભાગે જપ્ત કરેલા મુદ્દામાલ સાથે આરોપીને ચીખલીની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યો હતો. નામદાર કોર્ટે ગુનાની ગંભીરતા અને આરોપીના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખીને તેની જામીન અરજી નામંજૂર કરી દીધી. કોર્ટે આરોપીને 13 ફેબ્રુઆરી, 2026 સુધી નવસારી સબ જેલમાં કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે. વન વિભાગની આ કડક કાર્યવાહીથી લાકડા ચોરી કરતા માફિયાઓમાં ભયનો માહોલ ફેલાયો છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 8:17 pm

મોરબીના પાનેલી ગામે યુવાનનું ઝેરી દવા પીવાથી મોત:વાડીએ દવા પીધા બાદ સારવાર દરમિયાન નીપજ્યું મૃત્યુ

મોરબીના પાનેલી ગામે એક યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઘટના બાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાનેલી ગામના રહેવાસી પેથાભાઇ ભાણાભાઈ ચંદ્રેશાણીયા (ઉં.વ. 21) એ ગત તા. 29 જાન્યુઆરીના રોજ પોતાની વાડીએ ઝેરી દવા પી લીધી હતી. તેમને તાત્કાલિક મોરબીની મંગલમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તા. 31 જાન્યુઆરીની મોડી સાંજે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. હોસ્પિટલ દ્વારા આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી છે. તાલુકા પોલીસ સ્ટેશનના બી.જી. દેત્રોજા યુવાને કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે દિશામાં વધુ તપાસ ચલાવી રહ્યા છે. બીજી એક ઘટનામાં, મોરબીના સનાળા ગામેથી પોલીસે દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે ચાર આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. મોરબી એ-ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને સનાળા ગામે રહેતા મહાવીરસિંહ ધીરુભાઈ ઝાલાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા સ્થળ પરથી જુદી જુદી બ્રાન્ડની 123 બોટલ દારૂ અને 63 બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ. 1,55,760 ની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો કબજે કર્યો હતો. દરોડા દરમિયાન ઘરધણી મહાવીરસિંહ ધીરુભાઈ ઝાલા તેમજ રાજકોટના હરેશભાઈ નરસીભાઈ દેવાયતકા, સનાળાના સાગર ઉર્ફે લાલો નારણભાઈ ચાવડા અને ભચાઉના નારણભાઈ આહિર હાજર ન હતા. મોરબી એ-ડિવિઝન પોલીસે ઉપરોક્ત ચારેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેમને પકડવા માટે વધુ તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 8:14 pm

ટંકારા સર્વિસ સ્ટેશનમાં વાહન સર્વિસ મુદ્દે તોડફોડ:માલિકે એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી, પોલીસે તપાસ શરૂ કરી

ટંકારા-રાજકોટ હાઈવે પર આવેલા દ્વારકાધીશ સર્વિસ સ્ટેશનમાં વાહન સર્વિસ કરાવવા બાબતે બોલાચાલી થઈ હતી. આ ઘટનામાં સર્વિસ સ્ટેશનના કર્મચારીઓ સાથે ગાળાગાળી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, તેમજ તોડફોડ પણ કરવામાં આવી હતી. સર્વિસ સ્ટેશનના માલિક આરીફભાઈ આસમભાઈ અબરાણી (ઉં.વ. 35, રહે. ટંકારા, મોરબી નાકા પાસે) એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં કાસમભાઈ ઇબ્રાહીમભાઇ અમરોણીયા (રહે. ટંકારા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આરોપીએ સર્વિસ સ્ટેશનમાં રાખેલી નળી, ડોલ, ઇલેક્ટ્રિક બોર્ડ જેવી ચીજવસ્તુઓમાં તોડફોડ કરી હતી અને શટરમાં લોખંડના પાઇપ મારીને નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસે આ ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત, ટંકારામાંથી એક સગીરાના અપહરણનો પણ બનાવ સામે આવ્યો છે. સગીરાની માતાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે જય બાલાજી પોલિપેક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા રચનાબાઈ હરીસિંહ આહિરવાર (ઉં.વ. 34) એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં સુનિલ મોતીલાલ મહતો (રહે. બિહાર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, ટંકારાની લતીપર ચોકડીના બ્રિજ નીચે માર્કેટ પાસેથી તેમની સગીર વયની દીકરી સપનાનું આરોપી દ્વારા લલચાવી-ફોસલાવીને અપહરણ કરવામાં આવ્યું છે. પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા અને સગીરાને શોધી કાઢવા માટે જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 8:13 pm

ગોધરા-વડોદરા હાઇવે પર ટ્રકમાં ભીષણ આગ:બાસ્કા નજીક પ્લાસ્ટિક દાણા ભરેલી ટ્રક બળીને ખાખ, વાહનવ્યવહાર બંધ

ગોધરા-વડોદરા હાઇવે પર બાસ્કા ગામ નજીક એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પ્લાસ્ટિકના દાણા ભરીને જઈ રહેલી એક ટ્રકમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખી ટ્રક આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. ટ્રકમાં પ્લાસ્ટિકના દાણા હોવાને કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ગરમીના કારણે પ્લાસ્ટિક ઓગળીને રોડ પર ફેલાવા લાગ્યું હતું, જેના પરિણામે હાઇવે પર દૂર-દૂર સુધી આગની જ્વાળાઓ ફેલાઈ ગઈ હતી. આ દ્રશ્યો જોઈને હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. આગની જ્વાળાઓ રોડ પર ફેલાયેલી હોવાથી સાવચેતીના ભાગરૂપે ગોધરા-વડોદરા હાઇવેનો એક તરફનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ વડોદરા અને હાલોલ ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના યુદ્ધના ધોરણે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જોકે, ટ્રક અને તેમાં રહેલો માલસામાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 8:12 pm

મોરબી સિરામિક ઉદ્યોગને બજેટથી સીધો ફાયદો નહીં:આવાસ યોજનાથી આડકતરો લાભ, GST-વેટ માંગણીઓ અવગણાઈ

કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા વર્ષ 2026-27ના બજેટથી મોરબીના સિરામિક ઉદ્યોગને સીધો કોઈ ફાયદો નહીં થાય, પરંતુ આડકતરો લાભ મળવાની આશા છે. મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ આ અંગે માહિતી આપી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા સંસદમાં રજૂ કરાયેલા બજેટમાં મોરબીના સિરામિક ઉદ્યોગની મુખ્ય માંગણીઓ ધ્યાને લેવાઈ નથી. ઉદ્યોગકારો સિરામિક ઉત્પાદનો પર લાગતા 18% GST ઘટાડવાની અને નેચરલ ગેસ પર લાગતા 6% વેટને GST હેઠળ લાવવાની માંગ કરી રહ્યા હતા, જે સંતોષાઈ નથી. આથી, ઉદ્યોગને સીધો નાણાકીય લાભ નહીં મળે. જોકે, બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આગામી વર્ષમાં 2 કરોડ નવા મકાનો બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ મકાનોમાં મોરબીના સિરામિક ઉદ્યોગ દ્વારા ઉત્પાદિત ટાઇલ્સ અને સેનેટરી પ્રોડક્ટ્સનો ઉપયોગ થશે, જેનાથી ઉદ્યોગને આડકતરો ફાયદો થશે. આ ઉપરાંત, MSME (માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ) સેક્ટર માટે 10,000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે, જેનો લાભ મોરબીના ઉદ્યોગકારોને પણ મળશે. આમ, મનોજભાઈ એરવાડિયાના મતે, કેન્દ્ર સરકારના આ બજેટથી મોરબીના સિરામિક ઉદ્યોગને પરોક્ષ રીતે ફાયદો થવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 8:10 pm

મંદિરની ચોરી મુદ્દે પોલીસે વિદ્યાર્થીને માર માર્યાનો આક્ષેપ:મહીસાગરના બાલાસિનોરની ઘટના બાદ ભાજપના 2 MLA દોડી ગયા, બાળકે આપવીતી કહી, માતા-પિતાએ ન્યાય માંગ્યો

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકા પોલીસ હાલ ચર્ચામાં છે. ચોરીની આશંકા હેઠળ પૂછપરછ માટે બોલાવાયેલા ધોરણ 9ના એક વિદ્યાર્થીને પોલીસે શારીરિક ત્રાસ આપ્યાનો ગંભીર આક્ષેપ થયો છે. આ ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને બાળ અધિકારોના ભંગ બદલ કાયદાકીય કાર્યવાહીની માગ ઉઠી છે. સમગ્ર મામલે બાયડના ધારાસભ્ય ધવલ ઝાલા અને બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ બાળકના ઘરે દોડી ગયા હતા. જ્યાં બંનેએ એસપી સાથે ફોન પર વાત કરી હતી અને કાર્યવાહીની માગ કરી હતી. ત્યારે મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. જિલ્લા પોલીસ વડાએ આ બનાવની તપાસ ST/SC સેલના DySP જી.એલ. ચૌધરીને સોંપી છે. સમગ્ર મામલો શું છે?સ્થાનિક લીંબચ માતાના મંદિરે થયેલી ચોરીના સંદર્ભમાં પોલીસ દ્વારા આ સગીરની અટકાયત કરવામાં આવી હતી. વિદ્યાર્થીના પિતાના જણાવ્યા અનુસાર, તેમનો પુત્ર મંદિરે સાફ-સફાઈની સેવા આપવા જતો હતો. માત્ર શંકાના આધારે પોલીસ તેને સ્ટેશન લઈ ગઈ હતી અને નિર્મમ રીતે માર માર્યો હતો, જેના કારણે તેને ચાલવામાં પણ તકલીફ પડી રહી છે. વિદ્યાર્થીએ આપવીતી કહીભોગ બનનાર વિદ્યાર્થીએ પોલીસ સ્ટેશનના અનુભવ અંગે જણાવ્યું હતું કે, સાંજે આશરે 4થી 5 વાગ્યાના સુમારે મને પીઆઈની ઓફિસમાં બોલાવવામાં આવ્યો હતો. ત્યાં એક મહિલા પોલીસ કર્મચારી પણ હાજર હતા. મેં ચોરી કરી હોવાનો દબાણપૂર્વક સ્વીકાર કરાવવા માટે મને બીજા રૂમમાં લઈ જઈ લાકડી અને પટ્ટાથી બેરહેમ માર માર્યો હતો. વિદ્યાર્થીએ વધુમાં ઉમેર્યું કે, જ્યારે મેં ચોરી ન કરી હોવાનું વારંવાર જણાવ્યું, ત્યારે મને પગ લાંબા કરાવીને મારવામાં આવ્યો. પોલીસે મને ધમકી આપી હતી કે આ તો માત્ર 'ટ્રેલર' છે, હજી 40 જેટલા પોલીસકર્મીઓ આવશે અને આખી રાત માર મારશે. જો ગુનો કબૂલ નહીં કરે તો રિમાન્ડ પર લેવાની પણ બીક બતાવી હતી. પરિવારની ન્યાયની માગવિદ્યાર્થીના પિતાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પૂછપરછના નામે સગીર બાળક પર થતો આ પ્રકારનો શારીરિક અત્યાચાર અસહ્ય છે. બાળકના હાથે અને પગે ગંભીર ઈજાઓ થઈ છે અને ચામડી પણ નીકળી ગઈ છે. તેમણે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ આ મામલે તપાસ કરી ન્યાય અપાવવાની આજીજી કરી છે. પોલીસ સ્ટેશનમાં 'રિમાન્ડ રૂમ' ધવલ ઝાલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, માત્ર શંકાના આધારે 14 વર્ષના બાળકને એટલી હદે મારવામાં આવ્યો છે કે તે અત્યારે ચાલી પણ શકતો નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, પોલીસ સ્ટેશનની બાજુમાં જ એક અલગ ઓફિસ (રિમાન્ડ રૂમ અથવા વહીવટી રૂમ) બનાવવામાં આવી છે, જ્યાં આવી અમાનવીય પ્રવૃતિઓ આચરવામાં આવે છે. ઘટનાના 24 કલાક બાદ પણ પોલીસ દ્વારા પરિવારને ધમકાવવામાં આવી રહ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું. PIને સસ્પેન્ડ કરવાની માગધારાસભ્યએ ગૃહમંત્રી હર્ષ સંઘવી અને જિલ્લા SPની કામગીરીની પ્રશંસા કરવાની સાથે PI કક્ષાના અધિકારી દ્વારા આચરવામાં આવેલા આ કૃત્યને સખત શબ્દોમાં વખોડ્યું હતું. તેમણે જણાવ્યું કે, એક ધારાસભ્ય તરીકે મેં પોલીસને સ્થળ પર બોલાવી હોવા છતાં કલાકો સુધી કોઈ આવ્યું નથી, જે પોલીસની મનમાની દર્શાવે છે. જો આ PIને તાત્કાલિક ધોરણ પર સસ્પેન્ડ કરવામાં નહીં આવે, તો જનતાનો પોલીસ પરથી વિશ્વાસ ઉઠી જશે. ન્યાય માટે SP પાસે આશાપીડિત પરિવાર હવે કોઈ અરજી આપવાને બદલે સીધી ફરિયાદ દાખલ કરવાની માગ કરી રહ્યો છે. ધારાસભ્યોએ મહીસાગર SP પાસે આશા વ્યક્ત કરી છે કે આ મામલે તટસ્થ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સાથે જ ચીમકી ઉચ્ચારી છે કે ગરીબ પરિવારને ન્યાય અપાવવા માટે તેઓ મક્કમ છે અને બાળક પર કોઈ પણ પ્રકારનું માનસિક કે શારીરિક ટોર્ચરિંગ સહન કરવામાં આવશે નહીં.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 8:06 pm

મંત્રી મોઢવાડીયાએ ધ્રોલ, જોડિયા ST પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું:રૂ.11.98 કરોડના ખર્ચે ડેપો વર્કશોપ, બસ સ્ટેશન બનશે

રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષ સ્થાને ધ્રોલ અને જોડિયા ખાતે નવા એસ.ટી. પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરાયું. ધ્રોલ ખાતે રૂ. 6.63 કરોડના ખર્ચે આધુનિક એસ.ટી. ડેપો વર્કશોપ બનશે, જ્યારે જોડિયામાં રૂ. 5.35 કરોડના ખર્ચે નવીન એસ.ટી. બસ સ્ટેશન આકાર પામશે. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ તથા મેઘજીભાઈ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, એસ.ટી. વિભાગ કોઈ પણ કમાણીની અપેક્ષા વગર નાગરિકો માટે સલામત મુસાફરીનું સબળ માધ્યમ બન્યું છે. આ નવીન પ્રકલ્પોના નિર્માણથી નાગરિકોની સુખકારીમાં વૃદ્ધિ થશે અને પરિવહનના નવા રૂટ ઉપલબ્ધ બનશે. તેમણે ઉમેર્યું કે, એક સમયે ખખડધજ સ્થિતિમાં રહેલ એસ.ટી. નિગમે આજે કાયાપલટ કરી છે. આજે એ.સી., વોલ્વો અને સ્લીપર કોચ જેવી સુવિધાઓથી એસ.ટી. વધુ લોકભોગ્ય બની છે. સરકારના દ્રષ્ટિકોણને કારણે મહાનગરોના બસ સ્ટેશનો આજે એરપોર્ટ જેવી આધુનિક સુવિધાઓ ધરાવતા થયા છે. વિદ્યાર્થી અને દિવ્યાંગ પાસ જેવી યોજનાઓ લાખો લોકોને સહાયરૂપ બની રહી છે. આ પ્રસંગે ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ અને મેઘજીભાઈ ચાવડાએ સરકારની વિકાસલક્ષી કટિબદ્ધતાને બિરદાવી હતી. તેમણે લોકોને આ જાહેર મિલકતોની જાળવણી કરવા પણ અનુરોધ કર્યો હતો. જામનગર એસ.ટી. વિભાગના ધ્રોલ મુકામે નિર્માણ પામનાર આધુનિક ડેપો-વર્કશોપ માટે કુલ 34,239.34 ચો.મી. જમીન ફાળવવામાં આવી છે. તેનો અંદાજિત ખર્ચ રૂ. 6.63 કરોડ થશે. આ વર્કશોપ આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચર ધરાવતું હશે, જેમાં કુલ 1547.82 ચો.મી. માં બાંધકામ કરવામાં આવશે. આ નવીન ડેપોમાં વહીવટી અને ટેકનિકલ એમ બંને પ્રકારની સવલતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમાં ડેપો મેનેજરની ઓફિસ, એડમીન રૂમ, સ્ટોર રૂમ, તેમજ સ્પેરપાર્ટ્સ માટે ટાયર, બેટરી, ઓઈલ અને ઈલેક્ટ્રિક માટે અલગ રૂમોની વ્યવસ્થા છે. બસોના મેઈન્ટેનન્સ માટે બે લોન્ગ પીટ અને એક યુ પીટ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત, ગ્રાઉન્ડ ફ્લોર પર વોટર રૂમ અને આશરે 3986.35 ચો.મી. વિસ્તારમાં સી.સી. ટ્રી-મીક્ષ ફ્લોરીંગ કરવામાં આવશે. જ્યારે પ્રથમ માળ પર કર્મચારીઓ માટે વર્કર રૂમ, રેકોર્ડ રૂમ અને મહિલાઓ માટે ટોઈલેટની સુવિધા સાથેનો લેડીઝ રેસ્ટ રૂમ પણ બનાવવામાં આવશે. જોડીયા એસ.ટી.બસ સ્ટેશનની સવલતો​રાજ્ય સરકાર દ્વારા જામનગર એસ.ટી. વિભાગના જોડીયા મુકામે આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચર ધરાવતા એક આધુનિક બસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે કુલ 4000.00 ચો.મી. જમીન ફાળવવામાં આવી છે અને તેની કુલ અંદાજિત કિંમત રૂ. 535.00 લાખ (5.35 કરોડ)જેટલી થશે. આ બસ સ્ટેશનના ગ્રાઉન્ડ ફ્લોર પર કુલ 540.00 ચો.મી. માં બાંધકામ થશે, જેમાં મુસાફરોની સુવિધા માટે 5 પ્લેટફોર્મ બનાવવામાં આવશે. ​મુસાફરોની સગવડ માટે અહીં 162.75 ચો.મી.નો વિશાળ વેઈટીંગ હોલ, કેન્ટીન, વોટર રૂમ અને 4 વિવિધ સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે. વહીવટી જરૂરિયાતો માટે કંટ્રોલર રૂમ, ઈલેક્ટ્રિક રૂમ અને પાર્સલ રૂમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મહિલા મુસાફરો માટે અલગ લેડીઝ રેસ્ટ રૂમ (ટોઈલેટ સહિત) તથા પુરુષ અને સ્ત્રી મુસાફરો માટે અલગ શૌચાલય બ્લોકની સુવિધા આપવામાં આવી છે. ડ્રાઈવર અને કંડક્ટર માટે પણ શૌચાલય સાથેનો અલગ રેસ્ટ રૂમ બનાવવામાં આવશે. બસ સ્ટેશનના સરક્યુલેશન વિસ્તારમાં 2630.00 ચો.મી. માં સી.સી. ટ્રી-મીક્ષ ફ્લોરીંગ કરવામાં આવશે અને વિકલાંગ વ્યક્તિઓ માટે ખાસ પ્રકારના શૌચાલય તથા સ્લોપિંગ રેમ્પની સુવિધા પૂરી પાડવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 7:57 pm

પાટણમાં દલિત વરઘોડા પર હુમલો:ચંદુમાણા ગામે 8 શખ્સો સામે ગુનો નોંધાયો

પાટણ તાલુકાના ચંદુમાણા ગામે દલિત યુવકના વરઘોડા પર હુમલો થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. વરઘોડો કાઢવા બાબતે કેટલાક શખ્સોએ હથિયારો સાથે ધમકી આપી જાતિવિષયક અપશબ્દો બોલ્યા હતા. આ મામલે પાટણ તાલુકા પોલીસ મથકે 8 શખ્સો વિરુદ્ધ બી.એન.એસ. અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ચંદુમાણા ગામના રોહિતવાસમાં રહેતા ગણપતભાઈ કલાભાઈ ચાવડાના પુત્ર વિશાલના લગ્ન પ્રસંગે 1 ફેબ્રુઆરી, 2026ના રોજ સવારે 11:30 વાગ્યે ડીજે સાથે વરઘોડો નીકળ્યો હતો. વરઘોડો ગામના જાહેર માર્ગ પરથી પસાર થઈ જોગણી માતાના મંદિર સામેના ચોકમાં પહોંચ્યો, જ્યાં પરિવારના સભ્યો ગરબા રમી રહ્યા હતા. આ સમયે ગામના કેટલાક શખ્સો ત્યાં ધસી આવ્યા હતા. અનિલજી બકુજી તલવાર સાથે, જીવણજી તખાજી ધારીયા સાથે અને શિવાજી રમેશજી તથા રમેશજી જીવણજી લાકડીઓ સાથે ગેરકાયદે મંડળી રચી હુમલો કર્યો હતો. તેઓએ વરઘોડો કાઢવા બાબતે રોષે ભરાઈને જાતિવિષયક અપશબ્દો બોલી અપમાનિત કર્યા હતા અને ધમકી આપી હતી કે જો ફરી વરઘોડો કાઢ્યો તો જાનથી મારી નાખીશું. આ ઘટનાથી વરઘોડામાં સામેલ લોકો ગભરાઈ ગયા હતા અને ઘોડાવાળાએ વરરાજાને સુરક્ષિત ઘરે પહોંચાડ્યા હતા. પોલીસે આ મામલે જીવણજી તખાજી ઠાકોર, રમેશજી જીવણજી ઠાકોર, બકુજી જીવણજી ઠાકોર, બચુબેન જીવણજી ઠાકોર, સુબીબેન જીવણજી ઠાકોર, અનિલજી બકુજી ઠાકોર, શિવાજી રમેશજી ઠાકોર અને સંતોષજી રમેશજી ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક પરેશ જયસુખલાલ રેણુકા ચલાવી રહ્યા છે. આ ઘટના પાછળનું કારણ એવું જાણવા મળ્યું છે કે, તે વિસ્તારમાં તાજેતરમાં નાની ઉંમરના છોકરા-છોકરીના મોત થયા હતા અને બાજુના મહોલ્લામાં એક મહિલાનું પણ અવસાન થયું હતું, જેના કારણે રવિવારે બેસણું રાખવામાં આવ્યું હતું. આ સ્થળેથી વરઘોડો વાજતે-ગાજતે પસાર થતાં ઠાકોર યુવકોએ વિરોધ કર્યો હતો, જેના પગલે બોલાચાલી થઈ હતી અને તલવાર બહાર કાઢતા દોડધામ મચી હતી. જોકે, ગામના સરપંચ કાજલબેન વ્યાસના પતિ ચેતનભાઈ વ્યાસ અને પ્રવીણભાઈ રાવળ સહિતના આગેવાનોએ ઘટના સ્થળે પહોંચી બંને પક્ષોને સમજાવ્યા હતા, ત્યારબાદ જાન આગળ રવાના થઈ હતી.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 7:55 pm

પાટણ જિલ્લા ભાજપના નવા હોદ્દેદારોની જાહેરાત:વિવિધ મોરચાના પ્રમુખો અને મહામંત્રીઓની નિમણૂક

પાટણ જિલ્લા ભાજપ સંગઠનમાં મોટા પાયે ફેરફાર કરી નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. પ્રદેશ નેતૃત્વ સાથેની ચર્ચા બાદ જિલ્લા પ્રમુખ દ્વારા ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી અને વિવિધ મોરચાના હોદ્દેદારોના નામ જાહેર કરાયા છે. પાટણ જિલ્લા ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર કરાયું છે. જેમાં જિલ્લા ઉપપ્રમુખ તરીકે પટેલ વિષ્ણુભાઈ નથુભાઈ, ગોસાઈ રોહિતભાઈ જયેન્દ્રભાઈ, પ્રજાપતિ હેતલબેન પ્રમોદભાઈ, રાજગોર નીલેશભાઈ વસંતલાલ, મકવાણા ભાનુમતીબેન વિજયકુમાર, ચૌધરી ભેમાભાઈ મુળજીભાઈ, ઠાકોર આશાબેન વિક્રમસિંહ અને નાયી રમીલાબેન નરસિંહભાઈની પસંદગી કરવામાં આવી છે. મહામંત્રી તરીકે પાટણ શહેરમાં પટેલ સંજયભાઈ રાયચંદભાઈને ઠાકોર બાબુજી ઈશ્વરજી અને દેસાઈ લાલજીભાઈ બાબુભાઈને જવાબદારી સોંપાઈ છે. જિલ્લા મંત્રી તરીકે મકવાણા બાબુભાઈ બાવાભાઈ, પટેલ નિકુલભાઈ અંબાલાલ, પટેલ અશોકભાઈ જોઈતારામ, બારોટ વિજયાબેન ધર્મેન્દ્રભાઈ, પાધ્યા મિહિરભાઈ અક્ષયભાઈ, ઠાકોર જલુજી પારખાનજી, ઠક્કર જાનકીબેન ચેતનભાઈ અને રાવળ ચંદ્રિકાબેન પ્રહલાદભાઈને જવાબદારી સોંપવામાં આવી છે. અન્ય હોદ્દેદારોમાં કોષાધ્યક્ષ તરીકે વાઘેલા જયેન્દ્રસિંહ જીલુજી, કાર્યાલય મંત્રી તરીકે પ્રજાપતિ નવીન કુમાર હરિભાઈ, સોશિયલ મીડિયા વિભાગમાં મોદી ગૌરવભાઈ કનૈયાલાલ અને આઈ.ટી. વિભાગમાં પટેલ રાગીનીબેન મહેન્દ્રભાઈની નિમણૂક કરાઈ છે. મીડિયા વિભાગની જવાબદારી દરજી જયેશભાઈ ઈશ્વરલાલને સોંપવામાં આવી છે. વિવિધ મોરચાના પ્રમુખોની પણ નિમણૂક કરવામાં આવી છે. જેમાં યુવા મોરચાના પ્રમુખ તરીકે પટેલ મિલનભાઈ પરેશભાઈ, મહિલા મોરચામાં પંચાલ હેતલબેન નિરંજનકુમાર, કિસાન મોરચામાં પટેલ અશ્વિનભાઈ નટવરલાલ, ઓબીસી મોરચામાં દેસાઈ જયરામભાઈ કમસભાઈ, અનુસૂચિત જાતિ મોરચામાં પરમાર અશોકભાઈ મફાભાઈ, અનુસૂચિત જનજાતિ મોરચામાં રાણા બાબુભાઈ મોહનભાઈ અને લઘુમતી મોરચામાં પઠાણ જાવેદખાન બિસ્મિલ્લાહખાનનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 7:54 pm

બનાસકાંઠામાં સિપાઈ સમાજ બનાવશે બંધારણ:ડીજે પ્રતિબંધ, એક માંડવે લગ્ન જેવા નિયમો અમલમાં આવશે

બનાસકાંઠા જિલ્લામાં મુસ્લિમ સિપાઈ સમાજના 44 ગામના લોકોએ સમાજ સુધારણા માટે એક બંધારણ બનાવવાનો નિર્ણય કર્યો છે. વડગામના ઘોડીયાલ ખાતે મળેલી મહત્વની બેઠકમાં ડીજે પર પ્રતિબંધ, એક માંડવે લગ્ન અને મરણ પ્રસંગે થતા ખોટા ખર્ચાઓ ઘટાડવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજને શિક્ષણ તરફ વાળવાનો અને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો હતો. સમાજમાં થતા બિનજરૂરી ખર્ચાઓને દૂર કરીને સામાજિક વિકાસ સાધવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બનાસકાંઠામાં ઠાકોર અને રબારી સમાજ સહિત અન્ય સમાજો દ્વારા પણ આવા બંધારણ બનાવી કડક નિર્ણયો લેવાયા છે. હવે સિપાઈ સમાજ પણ આ દિશામાં આગળ વધી રહ્યો છે. લગ્ન પ્રસંગોમાં ડીજેનો ઉપયોગ અને મરણ પ્રસંગે વારંવારના જમણવાર જેવા ખર્ચાળ રિવાજો ઘટાડવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. બેઠકમાં 'એક સમાજ, એક નિયમ, એક માંડવે લગ્ન' જેવા ઐતિહાસિક નિયમો ઘડવા પર સહમતિ સધાઈ હતી. આ નિયમોનો અમલ થવાથી સમાજ પરનો આર્થિક બોજ ઘટશે અને દીકરા-દીકરીઓના સમૂહ લગ્નને પ્રોત્સાહન મળશે. સમાજના આગેવાનો દ્વારા ઘડવામાં આવેલા આ નવા નિયમો સમયની માંગ અને સમાજ માટે અત્યંત ઉપયોગી હોવાનું ઉપસ્થિત લોકોએ એકસૂરે સ્વીકાર્યું હતું. આગામી સમયમાં વધુ એક બેઠક યોજીને આ બંધારણને સત્તાવાર રીતે અમલમાં મૂકવામાં આવશે અને તેનું કડકપણે પાલન કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 7:52 pm

સુરેન્દ્રનગરમાં ભાજપ કાર્યાલયે બજેટ નિહાળ્યું:હોદ્દેદારો અને આગેવાનોએ કેન્દ્રીય બજેટ લાઈવ જોયું

આજરોજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં લોકસભામાં કેન્દ્રીય બજેટ 2026-27 રજૂ કર્યું. આ બજેટને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલય નમો કમલમ ખાતે લાઈવ નિહાળવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી હાર્દિકભાઈ ટમાલિયા, જિલ્લા હોદ્દેદારો, શહેર ભાજપ મહામંત્રી વિપુલભાઈ ચૌહાણ, શહેર સંગઠનના હોદ્દેદારો, સંયોજકો, નગરપાલિકાના પૂર્વ સદસ્યો અને કાર્યકર્તાઓ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 7:51 pm

PSIએ 20 હજાર લઈ ટેબલના ખાનામાં મૂકી દીધા, VIDEO:વડોદરાના ફોજદારનો લાંચનો કથિત વીડિયો વાઈરલ, આરોપીને કહ્યું-તું કરોડપતિ હોય તો પણ મને શું?

વડોદરા શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તત્કાલીન PSI એન.એન. ઝવેરીનો કથિત લાંચની માગણી કરતો અને સ્વીકારતો વીડિયો વાઈરલ થતા ચકચાર મચી છે. આ વીડિયો એક વર્ષ પહેલાનો હોવાનું સામે આવ્યું છે. વડોદરા પોલીસ કમિશનરે વીડિયોને લઈ તપાસનો આદેશ આપ્યો છે. PSIની જવાહરનગર પોલીસ સ્ટેશનમાંથી પાણીગેટ પોલીસ સ્ટેશન અને ત્યાંથી ટ્રાફિક પોલીસમાં બદલી થઈ ચૂકી છે. વીડિયો સાથે આક્ષેપ કરનાર ગુલામ મુસ્તફા ઉર્ફે ઇનાયત ઇબ્રાહીમભાઈ ખાટકી સામે એક મહિના પહેલા પોલીસે પાસાની કાર્યવાહીએ કરી હતી. તાજેતરમાં જ જેલમાંથી બહાર આવ્યા બાદ પોલીસ સામે આક્ષેપો કર્યા છે. સોશિયલ મીડિયામાં વાઈરલ કરાયેલો વીડિયો એક વર્ષ જૂનો14 જાન્યુઆરી- 2025ના રોજ મુસ્તફા ઉર્ફે ઇનાયત ઇબ્રાહીમભાઈ ખાટકી અને અકબર સહિતના લોકો વચ્ચે મારામારી થઈ હતી. ત્યારબાદ સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તે સમયે PSIએ પૈસા માગ્યા હોવાનો કથિત વીડિયો હવે એક વર્ષ બાદ વાયરલ થયો છે. ઓક્ટોબર - 2025માં The Prevention of Cruelty to Animals Actનો ગુનો તેની સામે દાખલ થયો હતો. ત્યારબાદ એક મહિના પહેલા જ તેની સામે પાસાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ ઇનાયતે આ વીડિયો વાયરલ કરી પોલીસ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. પૈસાની માગણી કરતા વીડિયોના મુખ્ય અંશઇનાયત: મારી જુબાન પર ભરોસો રાખો, અમારી મજબૂરી છે. PSI: અકબરીના છોકરાને કહું તો હમણાં 50 હજાર રૂપિયા આપી દેશે, તમારી ગાડી બરાબર ચાલે છે, તું કરોડપતિ હોય તો પણ મને શું?. હું 50 બોલું છું, પછી મેં 40 કરી આપ એમ કહ્યું હતું. 25 અત્યારે આપજે, 15 પછી આપી દેજે. ઇનાયત: સાહેબ મારી પોઝીશન નથી PSI: સારું ચલ, અત્યારે 20 આપી દે, પછી 20 આપી દેજે. ઇનાયત: મંજુર છે સાહેબ. પૈસા સ્વીકારતા વીડિયોના મુખ્ય અંશ પૈસા આપતી વ્યક્તિ: પૈસા ગણી લેજો. PSI: તું મારો માણસ છે મને તારા પર ભરોસો છે, પણ મારી ડિમાન્ડ બદલાશે નહીં. પૈસા આપતી વ્યક્તિ: ઓરતો લઈને આવીશ, 20 હજાર આપી દઈશ. પોલીસ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપે છે- ગુલામ મુસ્તફાગુલામ મુસ્તફા ઉર્ફે ઇનાયત ઇબ્રાહીમભાઈ ખાટકીએ જણાવ્યું હતું કે, ગત 14 જાન્યુઆરીએ પોલીસવાળાઓએ મારી સામે ખોટી રીતે કેસ કરીને મને ફસાવ્યો હતો. જે લોકો દારૂ અને પેટ્રોલના ગેરકાયદેસર ધંધા કરે છે, તેમની સાથે પોલીસની મિલીભગત છે. એ સમયે પોલીસે મને ધમકી આપી હતી કે, તને અહીં રહેવા નહીં દઈએ અને તને ખોટા કેસમાં ફસાવીશું. આ ઉપરાંત 19 ઓક્ટોબરે મારા પર ખોટો કેસ કરવામાં આવ્યો. તેઓ ક્યાંકથી ગાયનું લોહી લઈ આવ્યા અને મારા કપડાં પર લગાવી મને ફસાવ્યો હતો. મારી આસપાસ રહેતા તમામ હિન્દુ ભાઈઓને તમે પૂછી શકો છો કે, હું કેવો માણસ છું. હું તો એક નાની દુકાન ચલાવીને મારું ગુજરાન ચલાવું છું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ મારા એ દિવસના કપડાં છે, જ્યારે પોલીસે રેડ પાડી હતી. મારી સ્પષ્ટ માંગ છે કે, આ કપડાંનો FSL રિપોર્ટ કરાવવામાં આવે. જો તેમાં ગાયનું લોહી સાબિત થાય તો મને ભલે ફાંસીએ ચડાવી દેવામાં આવે. હકીકતમાં, એ મારા પાડા કાપતી વખતે ઉડેલું લોહી છે. મને જાણીજોઈને ગુંડા તરીકે ચીતરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેઓએ ઉમેર્યું હતું કે, આ 4થી 5 પોલીસવાળા મને હેરાન કરી રહ્યા છે અને અહીંથી કાઢી મૂકવા માંગે છે. તેઓ કોઈના ઈશારે મને સતત ખોટા કેસોમાં ફસાવવાની ધમકી આપી રહ્યા છે. મેં અત્યાર સુધીમાં લગભગ 20થી 25 અરજીઓ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી. મારી પાસે પેનડ્રાઈવમાં પોલીસના વહીવટના અને અન્ય તમામ પુરાવાઓ છે. હું ગમે ત્યારે આ પુરાવા રજૂ કરવા તૈયાર છું. વડોદરા પોલીસ કમિશનરને તપાસનો આદેશ આપ્યોઆ મામલે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, વાયરલ થયેલો વીડિયો એક વર્ષ જૂનો છે. આ મામલે DCP ઝોન -1ને તપાસ સોંપવામાં આવી છે.વીડિયોને વેરીફાઈ કર્યા બાદ જે તથ્યો સામે આવશે, જેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 7:50 pm

47 લાખના ડ્રગ્સ કેસ મામલે ASI સસ્પેન્ડ:લક્ષ્મીકાંત દેસાઈના 4 દિવસના રિમાન્ડ મંજૂર, કેટલા સમયથી પેડલર સાથે સંપર્કમાં હતા તેની તપાસ થશે

વડોદરા 47 લાખનો ડ્રગ્સ કેસ મામલે એસઓજીના એએસઆઇ લક્ષ્મીકાંત દેસાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ કોર્ટ દ્વારા 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. SMCએ 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. અન્ય કોઈની સંડોવણી છે, કેટલા સમયથી આરોપી પેડલર સંપર્કમાં હતા, ક્યાંથી જથ્થો મંગાવતા હતા, તે અંગે પૂછપરછ કરાશે. વડોદરા રેલવે સ્ટેશન પરથી ઝડપાયેલા 48 લાખના કેસમાં સંડોવણી બહાર આવતા 31 જાન્યુઆરી, 2026ના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એસઓજીના એએસઆઇ લક્ષ્મીકાંત દેસાઈની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ આજે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. એસએમસીના તપાસ અધિકારી દ્વારા આરોપી એએસઆઈને કોર્ટમાં રજૂ કરીને તેની વધુ પૂછપરછ કરવા માટે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટ દ્વારા કોર્ટ દ્વારા આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વડોદરા રેલ્વે સ્ટેશન પરથી સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ દ્વારા 9 જાન્યુઆરીના રોજ 47.98 લાખના હેરોઈન ડ્રગ્સ સહિત રૂપિયા 48.07 લાખના મુદ્દામાલ સાથે પેલડર અમરીકસીંઘ ઉર્ફે સોનુ સરવણસીંઘ દિલીપસીંઘ મલ્હી (રહે. ગુરુનાનક નગર, છાણી જકાતનાકા, વડોદરા શહેર)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે હેરોઈન ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે આ ગુનામાં સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી અને પેડલરના કબજે કરવામાં આવેલા મોબાઇલની ડિટેઇલ કઢાવી હતી. વડોદરા શહેર એસઓજી બ્રાન્ચમાં ફરજ બજાવતાં પોલીસ કર્મચારી એએસઆઈ લક્ષ્મીકાંત ભીખુભાઈ દેસાઈ (ઉવ. 57 રહે.સનમિલન સોસાયટી, શુભાનપુરા ફાઈટેન્શન રોડ, વડોદરા)ની આરોપી પેડલર અમરીકસિંઘ ઉર્ફે સોનુ મલ્હી સાથે સંડોવણી બહાર આવતા સમગ્ર પોલીસ વિભાગમાં ચકચાર મચી ગઇ છે. જેને લઈ એસએમસી દ્વારા ધી નાર્કોટીકસ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ કલમ-8(સી),22૨(બી),29 મુજબના ગુના હેઠળ લક્ષ્મીકાંત દેસાઇની ધરપકડ કરવામાં આવી હતી. એસએમસીની ટીમ દ્વારા આરોપી ASI લક્ષ્મીકાંત દેસાઈની વધુ પૂછપરછ કરવા માટે 1 ફેબ્રુઆરીના રોજ કોર્ટ્માં રજૂ કરી કરવામાં આવ્યો હતો. તપાસ અધિકારી દ્વારા કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. ત્યારે મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીના 5 ફેબ્રુઆરી સુધીના એટલે ચાર દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડની મંજૂર કરવામાં આવ્યા છે. એસએમસી દ્વારા અન્ય કોઈની સંડોવણી છે, કેટલા સમયથી આરોપી પેડલર સંપર્કમાં હતા, ક્યાંથી જથ્થો મંગાવતા હતા સહિતના અલગ અલગ મુદ્દા પર પૂછપરછ કરાશે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 7:46 pm

લાઇસન્સ વગરની બંદુક લઇ રોફ જમાવતા 'દાદા'ને LCBએ ઉઠાવ્યો:બાવળની ઝાડીઓ નજીક ઉભો હોવાની બાતમી મળીને પોલીસ ત્રાટકી, સિંગલ બેરલ ગન સાથે આરોપીની ધરપકડ

પશ્ચિમ કચ્છમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત રાખવા માટે સતત પેટ્રોલિંગ કરી રહેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ટીમને મોટી સફળતા મળી છે. માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ એક શંકાસ્પદ વ્યક્તિ પાસેથી ગેરકાયદેસર રીતે રાખેલી દેશી બનાવટની બંદુક ઝડપી પાડવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના જવાનો ભુજ તાલુકા વિસ્તારમાં આધુનિક સાધનો સાથે પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન તેમને ખાનગી રીતે વિશ્વસનીય બાતમી મળી હતી. જે મુજબ રતીયા ફાટકથી ખારી નદી રોડ તરફ બાવળની ઝાડીઓ નજીક એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં ઉભો હતો અને તેની હલચલ પણ શંકાસ્પદ જણાતી હતી. બાતમીના આધારે પોલીસ ટીમ તરત જ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. જણાવ્યા મુજબના વર્ણન સાથે મેળ ખાતો એક વ્યક્તિ ત્યાંથી મળી આવ્યો. તેની તપાસ દરમિયાન તેના પાસેથી હાથ બનાવટની સિંગલ બેરલ દેશી બંદુક મળી આવી હતી. આ બંદૂક અંગે તેની પાસે કોઈ પણ પ્રકારનું કાનૂની દસ્તાવેજ નહોતા. આરોપી ગેરકાયદેસર રીતે હથિયાર રાખતો હોવાની પુષ્ટિ થતાં પોલીસે આશાપુરાનગરની ઇકરા સ્કૂલની બાજુમાં રહેતા 29 વર્ષીય પ્રવીણ રવીલાલ ગાલાની અટકાયત કરી તેની સામે માનકુવા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. શીણોલને સોંપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 7:46 pm

'ઉલટા ચોર કોટવાલ કો ડાંટે'નો કિસ્સો:રાજકોટમાં ભુજ - ગઢડા રૂટની એસટી બસને રિક્ષા ચાલકે ઠોકર મારી, ડ્રાઈવરનો કોલર પકડી બટન તોડ્યા

રાજકોટમાં ઉલટા ચોર કોટવાલ કો ડાંટે તેવો કિસ્સો સામે આવ્યો છે. ભુજ - ગઢડા રૂટની બસ શહેરના ભાવનગર રોડ ઉપર સરકારી પોલીટેકનિક કોલેજ પાસે ટ્રાફિકને કારણે ઉભી હતી ત્યારે પાછળથી રીક્ષા ચાલકે ઠોકર મારી બસની ઇન્ડિકેટર લાઇટ તોડી લીસોટા પાડ્યા હતા. જેથી બસ ડ્રાઈવરે નુકશાનીનો ખર્ચ માંગતા અને ફરિયાદ કરવાની તૈયારી કરતા રિક્ષા ચાલકે અન્ય રિક્ષા ચાલકને બોલાવ્યો અને બંનેએ ડ્રાઇવરનો કોલર પકડી બટન તોડી નાખ્યા અને કંડકટર સાથે ગાળાગાળી કરી હતી. જે અંગે ડ્રાઇવર દ્વારા થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે. જેથી પોલીસે બસમાં રૂ.2000 નું નુકશાન અને ફરજમાં રૂકાવટનો ગૂનો દાખલ કર્યો છે. પ્રાપ્ત વિગત મુજબ, ભાવનગર ડિવિઝનના ગઢડા એસટી ડેપોની ભુજ - ગઢડા રૂટની બસ (GJ 18 -ZT- 3189) આજે 1 ફેબ્રુઆરીના 04:45 વાગ્યે ભુજથી રવાના થઈ હતી. જે બાદ રાજકોટ - ભાવનગર હાઇવે ઉપર પોલીટેકનિક કોલેજ પાસે આજીડેમ ચોકડી પાસે 12 વાગ્યે બસ પહોંચી હતી. આ સમયે ટ્રાફિક હોવાથી બસ ઉભી હતી. આ દરમિયાન રીક્ષા (GJ 27U--8308) ચાલકે એસટી બસને પાછળથી ઠોકર મારી હતી. જેનો અવાજ આવતા એસટી બસના ડ્રાઇવર કૃષ્ણરાજસિંહ ગોહિલ અને કંડકટર મહેશભાઈ ઝાપડિયા બસમાંથી નીચે ઉતર્યા હતા અને રિક્ષા ચાલકને કહ્યું હતું કે નુકસાન શા માટે કર્યું? જેથી રિક્ષા ચાલકે પોતાની ભૂલ હોવાનું સ્વીકાર્યું. જોકે એસટી બસમાં નુકસાન પહોંચાડ્યું હોવાથી કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરાતા તે રીક્ષા ચાલકે અન્ય રિક્ષા ચાલક (GJ 09 - 2913) ને બોલાવ્યો હતો અને બંનેએ ગાળાગાળી શરૂ કરી હતી. આ સમયે ડ્રાઇવર અને કંડક્ટર ફોટા પાડી રહ્યા હતા ત્યારે બંને રીક્ષા ચાલકે ડ્રાઈવરનો કોલર પકડી લીધો હતો અને શર્ટના બે બટન તોડી નાખ્યાં હતા. જેથી ડ્રાઈવરે 112 માં ફોન કરતા બંને રીક્ષા ચાલક રિક્ષા લઈ ફરાર થઈ ગયા હતા.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 7:27 pm

ચંદ્રુમાણા ગૌરી માતા મંદિરમાં કલાત્મક કોતરણી કરાશે:વિકાસ કાર્યોને મંજૂરી, મુખ્ય દ્વાર એક માસમાં પૂર્ણ થશે

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ખાતેગૌરી માતા દેવસ્થાન ટ્રસ્ટની સામાન્ય સભા રવિવારે યોજાઈ હતી. આ સભામાં સંસ્થાનના આગામી ઇન્ફ્રાસ્ટ્રક્ચરલક્ષી વિકાસ કાર્યો અંગે વિચારણા કરવામાં આવી હતી અને તેના આયોજનોને મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં માતાજીના મંદિરને કલાત્મક કોતરણીથી શણગારવાનું અને નવીન મુખ્ય પ્રવેશ દ્વારનું કામ આગામી એક માસમાં પૂર્ણ કરવાનું નક્કી કરાયું હતું. સંસ્થાના પ્રમુખ ચેતન વ્યાસના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં અંદાજે ચાર લાખના ખર્ચે મંદિરને નુકસાન ન થાય તે રીતે કલાત્મક કોતરણી કરવાનો નિર્ણય લેવાયો હતો. અન્ય આયોજનોમાં મંદિર સામેના શેડમાં આવેલો ઓટલો દૂર કરવો, વૃદ્ધો અને દિવ્યાંગો માટે મંદિરમાં ચડવા માટે રેમ્પ બનાવવો, મુખ્ય ગેટ બન્યા પછી તેની આગળની દીવાલનું એલિવેશન કરવું અને જીર્ણોદ્ધાર પછીના તમામ વર્ષના દાતાઓની તકતી બનાવવાનો સમાવેશ થાય છે. આ અંગે પ્રમુખ ચેતન વ્યાસ અને મંત્રી સુરેશ વ્યાસ દ્વારા જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત, ગૌરી માતા મંદિર સંકુલમાં ભોળાનાથ શિવજીનું મંદિર બનાવવા માટે ભાનુ વ્યાસ દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવને પ્રમોદ વ્યાસે સમર્થન આપ્યું હતું અને સર્વસંમતિથી યોગ્ય જગ્યાએ શિવાલય બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપપ્રમુખ એલ.ડી. પટેલ, મૂળશંકર વ્યાસ, દેવુ વ્યાસ, રામજી પટેલ, ચમન પટેલ, ભરત વ્યાસ, રમેશ પટેલ, શીવા પટેલ, જીતુ વ્યાસ, વિનુ પટેલ, અલ્કેશ વ્યાસ, કલ્પેશ પટેલ અને અમરત પટેલ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજે પૂર્ણિમા નિમિત્તે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ લાભ લીધો હતો જેમને વિજય વ્યાસ તરફથી ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 7:03 pm

માઘ પૂર્ણિમા: શામળાજીમાં ભક્તોની ભીડ ઉમટી:શામળિયાને હીરા જડિત મુઘટ, સોનાના આભૂષણોથી કરાયો શણગાર

માઘ પૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ શામળાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ ભગવાન શામળિયાના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. પૂર્ણિમાના દિવસે કૃષ્ણ મંદિરો અને પુષ્ટિમાર્ગીય મંદિરોમાં ભક્તોની ભારે ભીડ રહેતી હોય છે. પોતાના આરાધ્ય દેવના દર્શનનું વિશેષ મહત્વ હોવાથી હજારો ભક્તો શામળાજી પહોંચ્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિરને ફૂલોથી વિશેષ શણગારવામાં આવ્યું હતું. ભગવાન શામળિયાને હીરા જડિત મુઘટ અને સોનાના આભૂષણોથી સુશોભિત કરવામાં આવ્યા હતા. ખાસ કારીગરો દ્વારા તૈયાર કરાયેલા વાઘા પણ ભગવાનને પહેરાવવામાં આવ્યા હતા. દિવસભર હજારો ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 6:41 pm

7 ફૂટ ઊંડી ખુલ્લી ગટરમાં 3 વર્ષીય બાળકી ખાબકી, VIDEO:બે યુવકો 'દેવદૂત' બન્યા, અણઘડ થતા વિકાસ કામોને લઈ અમિત શાહની ફટકાર બાદ પણ ગાંધીનગર મનપા ન સુધરી

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સ્માર્ટ સિટીના નામે ચાલી રહેલી અણધડ કામગીરી હવે માસૂમ જીવ માટે જોખમી બની રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અગાઉ તંત્રનો ઉધડો લીધો હોવા છતાં મનપાના સત્તાધીશો કે અધિકારીઓના પેટનું પાણી હલતું નથી.શનિવારે રાત્રે સેક્ટર-12માં વિશ્વકર્મા મંદિર પાસે માતાની નજર સામે જ એક 3 વર્ષની બાળકી 7 ફૂટ ઊંડી ખુલ્લી ગટરમાં ગરકાવ થઈ જતા હાહાકાર મચી ગયો હતો. જોકે બે યુવાનોએ દેવદૂત બનીને બાળકીને મોતના મુખમાંથી ઉધારી લીધી હતી. ખુલ્લી ગટરમાં 3 વર્ષની બાળકી ખાબકતા દોડધામ મચી હતીપાટનગર ગાંધીનગરના સેક્ટર-12માં મહાનગરપાલિકાની ભયાનક બેદરકારીને કારણે શનિવારે રાતે એક માસૂમ બાળકીનો જીવ જોખમમાં મુકાયો હતો. વિશ્વકર્મા મંદિરના પાટોત્સવમાં આવેલી 3 વર્ષની બાળકી ખુલ્લી ગટરમાં ખાબકી હતી. જોકે મોન્ટુ ગજ્જર અને આકાશ સુથાર નામના બે યુવાનોએ દેવદૂત બનીને ગટરના કીચડમાં દટાયેલી બાળકીને જીવિત બહાર કાઢી એક મોટી દુર્ઘટના ટાળી છે. સેક્ટર-12 સ્થિત વિશ્વકર્મા મંદિર ખાતે પાટોત્સવ નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન અને પ્રસાદ માટે ઉમટ્યા હતા. આ ભીડ વચ્ચે મંદિર તરફ જતાં રસ્તા પર મનપાની એક ખુલ્લી ગટર જાણે મોઢું ફાડીને ઊભી હતી. હરતી ફરતી 3 વર્ષની બાળકી અચાનક આ 7 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી હતી. બાળકી નજર સામે ગાયબ થતાં જ માતાપિતા સહિત આસપાસના લોકોમાં ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી. માસૂમ બાળકી માટે બે યુવકો 'દેવદૂત' બન્યાદરમ્યાન બાળકી ગટરમાં ખાબકી ગઈ હોવાનું જાણીને બુમાબુમ માવજી ગઈ હતી. આ ​બૂમાબૂમ સાંભળી નજીકમાં ગાડીમાં બેઠેલા મોન્ટુ ગજ્જર અને આકાશ સુથાર તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મોન્ટુએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ઊંડી ગટરમાં ઝંપલાવ્યું હતું. જોકે ગટરમાં અંધારું હોવાના લીધે બાળકી ક્યાં છે તે સમજાતું નહોતું. જેથી બધાએ મોબાઈલની ટોર્ચ લાઇટ ચાલુ કરી હતી. બાદમાં ​મોન્ટુએ અંદર જઈને બૂમ પાડી કે,બેટા તું ક્યાં છે? ત્યારે માટીમાં ખૂંપેલી બાળકીનો માંડ અવાજ આવ્યો કે, 'કાકા હું અહીંયા છું'. જેથી અવાજની દિશામાં જોતા બાળકીના માથાનો થોડો ભાગ દેખાયો હતો. મોન્ટુએ તાત્કાલિક બાળકીને સુરક્ષિત બહાર ખેંચી કાઢી હતી. આ દ્રશ્ય જોઈ ત્યાં હાજર સૌની આંખો ભીની થઈ ગઈ હતી અને ખુદ બચાવનાર યુવક મોન્ટુ પણ ભાવુક થઈ રડી પડ્યો હતો. ત્યારે ​બાળકીને બહાર કાઢ્યા બાદ પણ તંત્રનો કોઈ કર્મચારી ફરક્યો નહોતો. અન્ય કોઈ વ્યક્તિ આ કાળમુખી ગટરમાં ન પડે તે માટે બંને યુવાનોએ જાતે જ ઝાડની ડાળીઓ કાપીને ગટરમાં મૂકી હતી જેથી પસાર થતા લોકોને ખ્યાલ આવે. ચોંકાવનારી વાત એ છે કે આટલી મોટી ઘટના બાદ પણ આજે રવિવારે હજુ સુધી મનપા દ્વારા આ ગટરનું ઢાંકણું રિપેર કરવામાં આવ્યું નથી. બાળકી આખી કીચડમાં ખૂંપી ગઈ હતી- મોન્ટુ ગજ્જરઆ અંગે મોન્ટુ ગજ્જરે જણાવ્યું કે, અમે ગાડીમાં બેઠા હતા ત્યારે બૂમાબૂમ સાંભળી. જોયું તો બાળકી ગટરમાં પડી હતી. હું અંદર ઉતર્યો ત્યારે કંઈ દેખાતું નહોતું, મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરી. બાળકી આખી કીચડમાં ખૂંપી ગઈ હતી, તેનું મોઢું પણ નહોતું દેખાતું. જ્યારે મેં તેને પૂછ્યું કે બેટા ક્યાં છે ત્યારે તેનો ધીમો અવાજ આવ્યો. તેને બહાર કાઢી ત્યારે મારું હૃદય ભરાઈ આવ્યું હતું. મનપાની આ બેદરકારી કોઈનો જીવ લઈ શકે છે. જ્યારે આકાશે કહ્યું કે,આખી ઘટના ખૂબ જ ભયાનક હતી. જો અમે થોડી સેકન્ડ મોડા પડ્યા હોત તો કદાચ મોટી દુર્ઘટના બની હોત. સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે સેક્ટરના મુખ્ય રસ્તાઓ પર આવી ખુલ્લી ગટરો રાખવી એ તંત્રની ઘોર બેદરકારી છે. અમે અત્યારે ઝાડની ડાળીઓ મૂકી છે પણ તંત્રએ કાયમી ઉકેલ લાવવો જોઈએ. આડેધડ થઈ રહેલી કામગીરી બાબતે અમિત શાહે સત્તાધીશોની ઝાટકણી કાઢી હતીનોંધનીય છે કે, છેલ્લા ચારેક વર્ષથી ગાંધીનગરમાં ગટર અને પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી અત્યંત અણધડ રીતે ચાલી રહી છે. ચોમાસામાં શહેર ભુવાનગરી બન્યું ત્યારે ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મનપાના સત્તાધીશોની ઝાટકણી કાઢી હતી. તેમ છતાં પાટનગરના મુખ્ય વિસ્તારોમાં ખુલ્લી ગટરો અને જોખમી ખાડાઓ તંત્રની સ્માર્ટ કામગીરીની પોલ ખોલી રહ્યા છે. આ સમાચાર પણ વાંચોઃખુલ્લી ગટરમાં પડી જતાં યુવકનું મોત, પત્નીની એજન્સીના માલિક-કર્મચારીઓ સામે ફરિયાદ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં 26 ડિસેમ્બરની રાત્રે મહાનગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે નિવૃત્ત DYSPના પુત્ર વિપુલસિંહ મોહનસિંહનો ખુલ્લી ગટરમાં પડી જવાથી જીવ ગયો હતો, ત્યારે આ મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં મૃતકની પત્નીએ ઈકો ફેસિલિટી મેનેજમેન્ટ સર્વિસીસ નામની એજન્સીના માલિકો અને જવાબદાર કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવી છે. માંગલપુર પોલીસે આ મામલે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 6:35 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ઓનલાઈન ધમધમે છે 'એસ્કોર્ટ સર્વિસ'નો ધંધો, ન્યૂડ ફોટો-વીડિયો મળ્યા, અનેક વિસ્તારો પાણી વિના ટળવળ્યા

દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 6:29 pm

સરસપુરના યુવક સાથે ઓનલાઇન લોનના બહાને 4.54 લાખની ઠગાઈ:ATMમાં બેલેન્સ ચેક કરવા જતા ખબર પડી, APK ફાઇલથી બેંક ખાતું ખાલી થયું

અમદાવાદના સરસપુર વિસ્તારમાં રહેતા એક યુવક સાથે ઓનલાઇન લોનના બહાને 4.54 લાખ રૂપિયાની સાઇબર ઠગાઈ થયાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે શહેરકોટડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સરસપુરમાં રહેતો 36 વર્ષીય યુવક નોકરી કરે છે. 18 જાન્યુઆરીના રોજ તેણે એક ઓનલાઇન ખાનગી ફાયનાન્સ કંપનીમાં લોન માટે અરજી કરી હતી. ત્યારબાદ ફાયનાન્સ કંપનીના નામે તેને ફોન આવ્યો હતો અને 4.55 લાખ રૂપિયાની લોન મંજુર થઈ હોવાનું જણાવી રકમ તેના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી. અજાણ્યા શખ્સે ફોન કરીને યુવકને APK ફાઇલ મોકલી ને મોબાઈલ બંધલોનનો માસિક હપ્તો રૂ. 19,208 આવતો હોવાથી યુવકે હપ્તો ઓછો કરાવવા માટે ફાયનાન્સ કંપનીના એજન્ટ સાથે વાત કરી હતી. તે દરમિયાન એક અજાણ્યા શખ્સે ફોન કરીને યુવકને APK ફાઇલ મોકલી હતી. ફાઇલ ડાઉનલોડ કરતા જ યુવકનો મોબાઇલ ફોન બંધ થઈ ગયો હતો અને સ્ક્રીન પર EMI ફાઇલ પ્રોસેસ લખાયેલું દેખાવા લાગ્યું હતું. ગઠિયાએ સીમકાર્ડ કાઢવા બાબતે ઠપકો આપ્યોઆ દરમિયાન ગઠિયાએ આશરે એક કલાક સુધી યુવક સાથે વાત ચાલુ રાખી હતી. લાંબો સમય સુધી વાત ચાલતી જોઈ યુવકની પત્નીને શંકા ગઈ હતી અને તેણે સીમકાર્ડ કાઢી નાંખ્યું હતું. જોકે બાદમાં ગઠિયાએ યુવકની પત્નીને ફોન કરીને સીમકાર્ડ કાઢવા બાબતે ઠપકો આપ્યો હતો, જેથી તેણે ફરી સીમકાર્ડ ફોનમાં નાખી દીધું હતું. ATMમાં બેલેન્સ ચેક કરવા જતા ખબર પડી, 4.54 લાખ ખંખેર્યાત્યારબાદ યુવકની પત્નીને વધુ શંકા જતા તે એટીએમ સેન્ટરમાં બેલેન્સ ચેક કરવા ગઈ હતી, જ્યાં જાણવા મળ્યું કે ખાતામાંથી 4.54 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે. ગઠિયાઓએ APK ફાઇલ મારફતે યુવકના ફોન અને ખાતામાં પ્રવેશ મેળવી ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે. આ બનાવને લઈને શહેરકોટડા પોલીસે સાઇબર ક્રાઈમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 6:27 pm

બોપલમાં હોમ સર્વિસના નામે ચોરી કરનાર ચાર શખ્સોની ધરપકડ:ઝાયડસ હોસ્પિટલ પાસે એક્ટિવા ચાલકને સફારી કારે ટક્કર મારતાં મોત

અમદાવાદના બોપલ વિસ્તારમાં ભાડે મકાનમાં રહેતા પરિવાર સાથે હોમ સર્વિસના નામે મોટી ચોરીની ઘટના સામે આવી છે. સાણંદમાં રહેતા દિલીપભાઇ દોલતાણીએ બ્રોકર મારફતે શેલા ગામ સ્થિત રીવેરા એલ્પાયર ખાતે ભાડે મકાન લીધું હતું. મકાનમાં સામાન શિફ્ટ કર્યા બાદ સાફ-સફાઈ માટે બ્રોકરની પત્નીએ હોમ સર્વિસ આપતી અર્બન કંપનીમાંથી ચાર કર્મચારીઓને બોલાવ્યા હતાં. ચાર લોકો ઘરમાંથી ચોરી કરીને ફરારસાફ-સફાઈ દરમિયાન દિલીપભાઇ કામના કારણે બહાર ગયા હતા. તે દરમિયાન ચારમાંથી એક વ્યક્તિ જમવાનું લેવાના બહાને બહાર નીકળી ગયો હતો અને પરત ન આવતા શંકા ઊભી થઈ હતી. થોડી જ વારમાં બાકી રહેલા ત્રણ લોકો પણ કામ પૂરુ કરીને ઓટીપી લીધા વગર જ ત્યાંથી નીકળી ગયા હતા. બીજા દિવસે ઘરમાંથી 45 હજાર રૂપિયાની ચોરી થયાની જાણ થતાં દિલીપભાઇએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચારેયને પકડીને રૂ.45 હજાર રિકવર કર્યાફરિયાદના આધારે બોપલ પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર એસ.વી. ચૌધરીની ટીમે હોમ સર્વિસ કંપની પાસેથી વિગતો મેળવી તપાસ હાથ ધરી હતી. પોલીસે ભેરૂલાલ કિર, શિવલાલ કિર, ગોપાલ કિર અને નારાયણલાલ કિરની ધરપકડ કરી તેમની પાસેથી 45 હજાર રૂપિયા રિકવર કર્યા છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. ઝાયડસ હોસ્પિટલ પાસે એક્ટિવા ચાલકને કારચાલકની ટક્કર, અકસ્માતમાં મોતબીજી તરફ, અમદાવાદમાં શહેરમાં એક અકસ્માતની ઘટના પણ સામે આવી છે. મૂળ મધ્યપ્રદેશની રહેવાસી રીતુ ઉર્ફે શબનમ ક્રિશ્ચયન થલતેજ પ્રેસિડેન્ટ પાર્કમાં પરિવાર સાથે રહીને ઘરઘાટી તરીકે કામ કરે છે. તેમના 44 વર્ષિય પતિ વિનયભાઇ શીલજ ફાટક પાસે આવેલા હેલીકોનીયા એપાર્ટમેન્ટમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. આજે સવારે વિનયભાઇ ઝાયડસ હોસ્પિટલ પાસે એક્ટિવા લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલી સફારી કારના ચાલકે તેમને ટક્કર મારી હતી. અકસ્માતમાં વિનયભાઇ રોડ પર પટકાતા તેઓને ગંભીર ઇજાઓ થઈ હતા. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ મામલે એન ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 6:18 pm

આચાર્ય રણછોડલાલજી દ્વારા ભવ્ય “દૂલ્હે રાગ બસંત” કાર્યક્રમ:અમદાવાદના દિનેશ હોલમાં હવેલી સંગીત અને રાધા-કૃષ્ણના વિવાહ ગીતોની અનોખી શાસ્ત્રીય સંગીત પ્રસ્તુતિ

અમદાવાદના ઇન્કમટેક્સ સ્થિત દિનેશ હોલ ખાતે 31/1/26, શનિવારના રોજ આચાર્ય રણછોડલાલજીના સાનિધ્યમાં “દૂલ્હે રાગ બસંત” કાર્યક્રમ ભવ્ય રીતે સંપન્ન થયો હતો. પુષ્ટિમાર્ગીય હવેલી સંગીતની પ્રાચીન પરંપરા, ગુજરાતી ધોળ અને વ્રજના રસિયાના અદભૂત સમન્વયથી શ્રોતાઓ મંત્રમુગ્ધ બન્યા હતા. આ આયોજન મુખ્યત્વે રાધા-કૃષ્ણના વિવાહના પદો અને વસંત ઋતુના વધામણાં પર આધારિત હતું. કાર્યક્રમમાં રણછોડલાલજીએ પોતાના મધુર સ્વરે વિવિધ રાગોની પ્રસ્તુતિ કરી હતી. જેમાં હવેલી સંગીતના પદો જેવા કે “દૂલ્હે રાગ બસંત” (રાગ બસંત), “અરે કારે પ્યારે” (રાગ સારંગ), “ગોરી ગોરી ગુજરીયા” (રાગ ગોરી) અને “તુમ આવો” (રાગ કાફી) રજૂ કર્યા હતા. આ ઉપરાંત લોકપ્રિય ગુજરાતી ધોળ “પરણાવો ને કાન” અને “ઉડી જા ભમરા” તેમજ લોક સંગીતમાં ‘બન્ના હજારા’ અને રસિયામાં “દુલહન પ્યારી રાધારાની” જેવી લયબદ્ધ રચનાઓએ વાતાવરણમાં ભક્તિનો રંગ જમાવ્યો હતો. રણછોડલાલજીને તેમના શિષ્યો વ્રજેશ, નુપુર, પાર્થ, હિમય, જય, ઋષિ અને પીયૂષે ગાયનમાં સાથ આપ્યો હતો. વાદ્ય સંગીતમાં પં. શિશિર (હાર્મોનિયમ), હીરેન (પખાવજ), કીશન (સારંગી) અને મીતેશ (ઢોલક) એ સુંદર સંગત કરી હતી. સુનીલ શાહની આગેવાનીમાં આયોજન સમિતિના જયેશ શાહ દ્વારા સ્વાગત પ્રવચન અને પ્રદીપ મોદી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે વ્રજલતા બેટીજી, વલ્લવી બેટીજી, સ્વધા બેટીજી, વ્રજરત્ના વહુજી અને આશ્રયજી (કડી) સહિત વલ્લભકુળ ગોસ્વામી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ કીરીટ શાહ (એસવીવીપી), અન્ય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભક્તોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવીને હાજરી આપી હતી. અંત સુધી તમામ ભાવિકો સંગીતના આ સંગમમાં તરબતર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 6:14 pm

ગુજરાતને બજેટમાં શું મળ્યુ?:રીક્ષામાંથી ઉછળીને નીચે પટકાયા મુસાફરો, દીકરીના કંકોત્રી લેખન પહેલા બિલ્ડરનો આપઘાતનો પ્રયાસ, ગજેરા બંધુના કૌભાંડ કોણે ખોલ્યા?

કેન્દ્રીય બજેટમાં ગુજરાતને શું મળ્યુ? ગુજરાતને મળશે 5 આયુર્વેદિક એઈમ્સ...34 જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ, જામનગરમાં WHO ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર બનાવાશે.. એટલું જ નહી SME-MSME ગ્રોથ ફંડ માટે 10 હજાર કરોડની જાહેરાત અને સેમિકન્ડક્ટર મિશન ISM 2.0 લોન્ચ કરાશે.. આ ખાસ જાહેરાત યુનિયન બજેટમાં ગુજરાત માટે કરવામાં આવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો CM ભૂપેન્દ્ર પટેલે બજેટને વિકસિત ભારતનું બજેટ ગણાવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બજેટને આત્મનિર્ભર વિકસિત ભારત માટેનું બજેટ ગણાવ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગજેરા બંધુઓના કૌભાંડને નજીકના મિત્રએ જ ખુલ્લા પાડ્યા સુરતના ગજેરા બિલ્ડર્સ પર તેમના જ નજીકના ગણાતા પવન અગ્રવાલે રેડ પડાવી હોવાનો ખુલાસો થયો છે. પવન અગ્રવાલે 2000 કરોડના કૌભાંડના પુરાવા સાથે પીએમઓેને પત્ર લખ્યો હતો,પ્રવીણ અગ્રવાલે સુરતના ઈકો સેલમાં પણ અરજી કરી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો જાણીતા બિલ્ડરનો ગોળી મારી આપઘાતનો પ્રયાસ સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીએ પોતાને ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો.9 એમએમની ગોળી મગજની આરપાર નીકળી જતા તેમની સ્થિતિ નાજુક છે.. આજે તેમની દીકરીનું કંકોત્રી લેખન હતું, અને 5 ફેબ્રુઆરીએ લગ્ન હતા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 18મી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ જૂનાગઢમાં 18મી ગિરનાર આરોહણ -અવરહોણ સ્પર્ધા યોજાઈ.જેમાં દેશના 12 રાજ્યોમાંથી આવેલા 516 સ્પર્ધકોએ ભાગ લીધો.. સચોટ પરિણામ મેળવવા માટે RFID ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ડમ્પરની અડફેટે 21 વર્ષીય યુવકનું મોત વડોદરાના અક્ષર ચોક પાસે ડમ્પરની અડફેટે 21 વર્ષીય યુવકનું મોત નીપજ્યું.. યુવક નોકરીથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે ડમ્પરને ઓવરટેક કરવા જતા ડમ્પર નીચે આવી ગયો. ડમ્પર પણ ફૂલસ્પીડમાં જઈ રહ્યું હતું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટ્રેક્ટર નીચે આવી ગયેલી મહિલાનો જીવ બચી ગયો સુરતમાં ટ્રેક્ટર નીચે આવી ગયેલી મહિલાએ મોતને હાથતાળી આપી. ફોન પર વાત કરતી મહિલા પર રિવર્સમાં આવી રહેલું ટ્રેક્ટર ફરી વળ્યુ્ હતું. બે ટાયર વચ્ચેની ટ્રોલી નીચે મહિલા ફસાઈ ગઈ અને મહામનહેનતે બહાર નીકળી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઈન્ટરનેશનલ મેરાથોનમાં દોડ્યા મહારાણી રાધિકા રાજે વડોદરામાં યોજાઈ ઈન્ટરનેશલ મેરાથોન. જેમાં મહારાણી રાધિકારાજે ગાયકવાડે પણ ભાગ લીધો..આ સિવાય LGBTQ કમ્યુનિટીના 800 સભ્ય સહિત 1 લાખ લોકોએ મેરાથોનમાં ભાગ લીધો... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રિક્ષા પલટી ખાઈ જતા મુસાફરો ઉછળીને નીચે પટકાયા વડોદરામાં બાંકો કંપની પાસે એક ફૂલસ્પીડમાં આવી રહેલી રિક્ષા પલટી ખાઈ ગઈ.. રિક્ષામાં સવાર 3થી 4 મુસાફરો ઉછળીને રસ્તા પર પટકાયા. આસપાસના લોકોએ રિક્ષા સીધી કરી મુસાફરોને બહાર કાઢ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કેટલાક વિસ્તારોમાં રહી શકે વાદળછાયું વાતાવરણ રાજ્યના તાપમાનમાં થયો વધારો.. એટલું જ નહીં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું.. રાજ્ય પર સક્રિય થયેલી એક ટ્રફ સિસ્ટમને કારણે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 5:55 pm

કેન્દ્રીય બજેટને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવકાર્યું:કહ્યું- ટેક્સટાઇલ અને કેમિકલ સેક્ટર સહિત ગુજરાતના સર્વાંગી વિકાસને મળશે નવી ગતિ

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારામન દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવકાર્યું છે. તેમણે આ બજેટને વિકસિત અને આત્મનિર્ભર ભારત માટેની ‘રિફોર્મ એક્સપ્રેસ’ ગણાવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા સામાન્ય માનવીને કેન્દ્રમાં રાખીને કલ્યાણકારી નીતિઓ અમલમાં મૂકી છે. નિર્મલા સિતારામનજીને સતત 9મી વાર બજેટ રજૂ કરવા બદલ અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, કર્તવ્ય ભવનમાં તૈયાર થયેલું આ બજેટ 3 મુખ્ય કર્તવ્યો પર ઝોંક આપે છે. ગુજરાતના લોજિસ્ટિક્સ ક્ષેત્રને મોટો ફાયદો આ બજેટના મુખ્ય પિલર્સ તરીકે ‘ગ્યાન’ એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ (GYAN) પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ‘સૌના સાથ, સૌના વિકાસ’ના મંત્ર સાથે આ બજેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સેમિકન્ડક્ટર અને ડેટા સેન્ટર્સ જેવા અત્યાધુનિક ક્ષેત્રોને નવી ઊંચાઈ પર લઈ જશે. મુખ્યમંત્રીએ ખાસ નોંધ્યું હતું કે, પૂર્વ ભારતના દાનકુનીથી સુરત સુધીના ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરથી ગુજરાતના લોજિસ્ટિક્સ ક્ષેત્રને મોટો ફાયદો થશે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરને બૂસ્ટ ગુજરાતના ઔદ્યોગિક વિકાસ અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે, ટેક્સટાઇલ સેક્ટર માટેની 6 નવી યોજનાઓ અને 3 કેમિકલ પાર્ક્સની જાહેરાત રાજ્યના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને બૂસ્ટ આપશે. બાયોફાર્મા ઉદ્યોગ માટે ફાળવવામાં આવેલા 10,000 કરોડ રૂપિયા ગુજરાતના ફાર્મા હબ તરીકેના સ્થાનને વધુ મજબૂત બનાવશે. આ ઉપરાંત, જામનગરના ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરનું અપગ્રેડેશન પરંપરાગત ઔષધિઓના સંશોધનને વૈશ્વિક ફલક પર લઈ જશે. 'વિરાસત ભી, વિકાસ ભી'નો મંત્ર સાકાર થશે શહેરી વિકાસના સંદર્ભમાં ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, 5 લાખથી વધુ વસ્તી ધરાવતા Tier-2 અને Tier-3 શહેરોને 'સિટી ઇકોનોમિક રિજીયોન' બનાવવાની જાહેરાતથી નાના શહેરોનો સુગ્રથિત વિકાસ થશે. લોથલ અને ધોળાવીરાનો પ્રવાસન ક્લસ્ટરમાં સમાવેશ થવાથી 'વિરાસત ભી, વિકાસ ભી'નો મંત્ર સાકાર થશે. કરદાતાઓના સન્માન માટે લેવાયેલા પગલાં અને નાની ભૂલને ગુનો ન ગણીને માત્ર દંડની જોગવાઈ કરવાની બાબતને પણ તેમણે બિરદાવી હતી. અંતમાં, તેમણે આ બજેટને સર્વસમાવેશી અને દરેક વર્ગના ઉત્થાન માટે પ્રેરક ગણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 5:54 pm

પાટડીના ખેડૂતોએ જાતે કેનાલ સાફ કરી:નર્મદા વિભાગની નિષ્ફળતા બાદ ત્રણ ટ્રેક્ટર કચરો બહાર કાઢ્યો

પાટડી: નર્મદા વિભાગ દ્વારા અનેક રજૂઆતો છતાં કાર્યવાહી ન થતાં પાટડીના ખેડૂતોએ જાતે જ ખારાઘોડા બ્રાન્ચ કેનાલની સફાઈ કરી હતી. આ સફાઈ દરમિયાન અંદાજે ત્રણ ટ્રેક્ટર જેટલો કચરો બહાર કાઢવામાં આવ્યો હતો. પાટડીમાંથી પસાર થતી ખારાઘોડા બ્રાન્ચ કેનાલમાં ભારે ગંદકી જમા થવાને કારણે આગળના વિસ્તારોમાં પાણી પહોંચી શકતું નહોતું. આ સમસ્યાને કારણે ખેડૂતોના ખેતરો સુધી નર્મદાનું પાણી પહોંચતું નહોતું, જેનાથી પાકને નુકસાન થવાનો ભય હતો. આ અંગે સ્થાનિક ખેડૂતોએ નર્મદા વિભાગના અધિકારીઓને અનેક વખત રજૂઆતો કરી હતી. ખેડૂતોએ જેસીબી મશીન અને મજૂરો દ્વારા કેનાલની સઘન સફાઈ કરાવવા વિનંતી કરી હતી, પરંતુ તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. ખેડૂતોને તેમના પાક માટે છેલ્લા પાણીની તાત્કાલિક જરૂર હતી. કેનાલમાં ગંદકીના કારણે છેવાડાના વિસ્તારો સુધી પાણી ન પહોંચતા, ખેડૂતોએ જાત મહેનત જિંદાબાદના સૂત્રને સાર્થક કરતા જાતે જ કેનાલ સાફ કરવાનું નક્કી કર્યું. પાટડીના ખેડૂત મનીષ દશરથભાઈ પટેલે જણાવ્યું હતું કે, અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવાથી ખેડૂતો અકળાયા હતા. પાટડી તળાવ પાસેની ખારાઘોડા બ્રાન્ચ કેનાલોમાં જમા થયેલી ગંદકી દૂર કરવા માટે અનેક રજૂઆતો છતાં કોઈ પગલાં લેવાયા નહોતા. રોષે ભરાયેલા ખેડૂતોએ પાવડા અને કોદાળી જેવા સાધનો લઈને કેનાલની સફાઈ શરૂ કરી હતી. આ સ્વયંભૂ સફાઈ અભિયાન દ્વારા કેનાલમાંથી મોટા પ્રમાણમાં કચરો દૂર કરવામાં આવ્યો હતો, જેથી પાણીનો પ્રવાહ સુચારુ બની શકે. પાટડીના ખેડૂત નવઘણ ચેલાજી ઠાકોરે જણાવ્યું હતું કે, નર્મદા વિભાગ દ્વારા કેનાલોનો કચરો બહાર ના કઢાતા આ વિસ્તારના બધા ખેડૂતોએ એકસંપ કરીને કેનાલોમાંથી ત્રણથી ચાર ટ્રેક્ટરો ભરાય એટલો કચરો બહાર કાઢ્યો હતો. અને આ તમામ કચરો કેનાલમાંથી બહાર કાઢતા ખેડૂતોને પુરૂ એક અઠવાડીયાનો સમય લાગશે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 5:42 pm

કેન્દ્રીય બજેટ 2026 રજૂ, ઉદ્યોગ-જનતા માટે જોગવાઈઓ:અર્થવ્યવસ્થાને નવી દિશા આપવા વિકાસલક્ષી પગલાં

કેન્દ્રીય નાણામંત્રીએ આજે સંસદમાં વર્ષ 2026નું બજેટ રજૂ કર્યું. આ બજેટમાં ઉદ્યોગ જગત અને સામાન્ય નાગરિકો બંને માટે રાહત તથા વિકાસલક્ષી અનેક મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે. આ બજેટને 'સમાવેશક વિકાસ અને આત્મનિર્ભર ભારત' તરફનું મજબૂત પગલું ગણવામાં આવી રહ્યું છે. ઉદ્યોગપતિઓ માટે બજેટમાં ઉત્પાદન અને રોકાણને પ્રોત્સાહન આપવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) માટે ક્રેડિટ સુવિધાઓમાં વધારો, સરળ લોન પ્રક્રિયા અને નવી ટેક્નોલોજી અપનાવવા માટે પ્રોત્સાહક યોજનાઓ જાહેર કરાઈ છે. સ્ટાર્ટઅપ્સ માટે કર રાહતો અને નવીનતા આધારિત ઉદ્યોગોને સહાયની જાહેરાત પણ કરવામાં આવી છે, જે રોજગારી સર્જનને વેગ આપશે. સામાન્ય જનતા માટે પણ બજેટમાં અનેક રાહતભરી જોગવાઈઓ કરાઈ છે. મધ્યમ વર્ગને કરછૂટ, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે વધારાનો ખર્ચ, તેમજ ગરીબ અને ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે વિશેષ ભંડોળ ફાળવવામાં આવ્યું છે. મહિલાઓ, યુવાનો અને ખેડૂત વર્ગ માટેની કલ્યાણકારી યોજનાઓને વધુ મજબૂત બનાવાઈ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, ડિજિટલ ઇન્ડિયા અને હરિત ઊર્જા ક્ષેત્રે પણ વધારાનો ખર્ચ ફાળવવામાં આવ્યો છે. આનાથી લાંબા ગાળે અર્થવ્યવસ્થાને મજબૂતી મળશે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે. અર્થશાસ્ત્રીઓ અને ઉદ્યોગકારોના મતે, કેન્દ્રીય બજેટ 2026 ઉદ્યોગ વિકાસ અને સામાજિક કલ્યાણ વચ્ચે સંતુલન જાળવતું બજેટ છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 5:39 pm

ગુજરાતમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી શરૂ:ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ ₹2585 મળશે, 1 માર્ચ 2026 સુધી નોંધણી

ગુજરાત સરકારે રવિ માર્કેટીંગ સીઝન 2026-27 માટે ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે. ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. પ્રતિ ક્વિન્ટલ ₹2585ના ભાવે ઘઉંની સીધી ખરીદી કરવામાં આવશે. ભારત સરકારે રવિ માર્કેટીંગ સીઝન 2026-27 માટે ઘઉંનો લઘુત્તમ ટેકાનો ભાવ (MSP) ₹2585 પ્રતિ ક્વિન્ટલ જાહેર કર્યો છે. રાજ્યમાં 'ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ' મારફતે આ ખરીદીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક રહે તે માટે નોંધણીથી લઈને વેચાણ સુધીનું તમામ કાર્ય ઓનલાઈન અને બાયોમેટ્રિક પદ્ધતિથી થશે. ટેકાના ભાવે ઘઉં વેચવા ઈચ્છતા ખેડૂતોએ 1 માર્ચ, 2026 સુધીમાં સ્થાનિક ગ્રામ પંચાયત ખાતે VCE મારફતે ઓનલાઇન નોંધણી કરાવવી ફરજિયાત છે. નોંધણી માટે આધાર કાર્ડની નકલ, અધ્યતન 7/12 અને 8-અ ના ઉતારા, પાકની વાવણી અંગેની એન્ટ્રી (અથવા તલાટીનો દાખલો) અને બેંક પાસબુક કે કેન્સલ ચેકની નકલ જેવા દસ્તાવેજો અનિવાર્ય છે. ખેડૂતોની નોંધણી બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા કરવામાં આવશે. સફળ નોંધણી બાદ ખેડૂતોને SMS દ્વારા ખરીદીની તારીખની જાણ કરવામાં આવશે. ખરીદી પ્રક્રિયા 4 માર્ચ, 2026 થી 15 મે, 2026 દરમિયાન ચાલશે. ખેડૂતોને કોઈપણ પ્રકારની મુશ્કેલીના સંજોગોમાં હેલ્પલાઇન નંબર 8511171718 અથવા 8511171719 પર સંપર્ક કરવા જણાવાયું છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 5:38 pm

108 દિવસ બાદ જેલમુક્ત થતાં AAPના પ્રવીણ રામ ભાવુક:'એક વર્ષના દીકરાનો જન્મદિવસ ન ઉજવી શક્યો', રાજકોટમાં રમેશ મેરે કહ્યું, જેલમાં જગતાત સાથે આતંકીઓ જેવો વ્યવહાર

બોટાદના હડદળમાં ખેડૂત સભા સમયે થયેલા પથ્થરમારા બાદ ધરપકડ કરાયેલા આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ અને રમેશ મેર સહિતના નેતાઓનો 108 દિવસના જેલવાસ બાદ રાજકોટ જેલમાંથી જામીન પર છૂટકારો થતા તેમનું હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રવીણ રામે ભાવુક થઈને કહ્યું કે, ભાજપ સરકારના ઇશારે અમારી ધરપકડ થઈ અને 108 દિવસ જેલમાં જવું પડ્યુ. મારા એક વર્ષના દીકરાનો પ્રથમ જન્મદિવસ ન ઉજવી શક્યો. મારા પરિવાર અને ખેડૂતોએ અનેક યાતનાઓ ભોગવી પરંતુ જેલમાંથી છૂટ્યા બાદ અમે હિંમત હાર્યા નથી. કડદા પ્રથામાંથી મુક્તિ અપાવીને બહાર આવ્યા છીએ. 54 લાખ ખેડૂતો માટેની લડાઈ ચાલુ રહેશે તેવો હુંકાર કર્યો હતો. સુરેન્દ્રનગર જીલ્લા AAPના નેતા રમેશ મેરે કહ જેલમાં કેન્સર પીડિત ખેડૂત દર્દીને દવા ન આપવામાં આવી, કોઈના પરિવારમાં લગ્ન અટકી ગયા તો અન્ય ખેડૂતની પત્ની સગર્ભા હતી. આ રીતે અનેક પરિવારોએ ભાજપના ષડયંત્રના કારણે યાતનાઓ ભોગવી તેમ જણાવ્યું હતું. 'ભાજપ સરકાર 54 લાખ ખેડૂતો સાથે કડદાના નામે વર્ષોથી લૂંટ'આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકાર 54 લાખ ખેડૂતો સાથે કડદાના નામે વર્ષોથી લૂંટ ચલાવી રહી છે. જોકે અમારા નેતા પ્રવીણભાઈ અને રાજુભાઈ સહિતના દ્વારા લડત ચલાવવામાં આવતા સરકારે ઓફિસિયલ પરિપત્ર બહાર પાડવો પડ્યો કે હવેથી કળદો કોઈ કરશે નહીં. અંગ્રેજો પણ ટૂંકા પડે તેવું કામ ભાજપ સરકારે કર્યું છે. 'ખેડૂતોને કડદા મુક્તિ આપીને જેલમાંથી બહાર આવ્યા છીએ'આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા પ્રવિણ રામે જેલમાથી છૂટ્યા બાદ ભાજપ સરકાર અને પોલીસ પર આકરા પ્રહારો કર્યા હતા. પ્રવિણ રામે કહ્યું કે, ગુજરાતની જનતા માટે 108 દિવસ જેલમાં રહીને આવ્યા છીએ અને હવે તમારા માટે 108ની જેમ કામ કરશું. BJPની સરકાર દ્વારા ષડયંત્ર કરીને ખેડૂતોને જેલમા નાખવામાં આવ્યા. અમે જેલમાંથી કઈ ગુમાવીને નહીં પરંતુ ખેડૂતોને કડદા મુક્તિ આપીને બહાર આવ્યા છીએ. અમે જેલમાંથી બહાર માર્કેટમાંથી ગુમ થવા માટે નહીં પરંતુ ડાલા મથ્થાની જેમ ગર્જના કરીને બહાર આવ્યા છીએ. 'મને 15 વર્ષથી એક રોગ હતો તે રોગમાંથી મને મુક્તિ મળી'તેમણે કહ્યું કે, અને 108 દિવસ જેલમાં રહ્યા તો બીજેપીના લોકોને એમ હશે કે હિંમત હારી જશે પરંતુ નહીં. અમે ખરાબ સમયને સારા સમયમાં પરિવર્તિત કર્યો. અમે વાંચન કર્યુ, કસરત કરી અને અમારા શરીરને મજબૂત બનાવ્યું. મને 15 વર્ષથી એક રોગ હતો તે રોગમાંથી મને મુક્તિ મળી. જે ભાજપના લોકોએ અમને જેલમાં મોકલવાનો પ્રયત્ન કર્યો તેઓને ભગવાન 100 વર્ષના કરે. જેથી અમે અમારી સત્તામાં તેમને વ્યાજરૂપી પાછું આપી શકીએ. કડદા પ્રથા બંધ કરવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યોઆ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, બોટાદના હડદળ ખાતે ખેડૂત સભામાં પથ્થરમારા બાદ 85 લોકો સામે ફરિયાદ થઈ અને ત્યારબાદ 15 લોકોના નામ ઉમેરવામાં આવ્યા એટલે કુલ 100 વ્યક્તિઓ સામે FIR થઈ અને જેલમાં પૂરવામાં આવ્યા. જોકે તેમાના એક પણ વ્યક્તિ પથ્થર ફેંકતા હોય તેવો એક પણ વીડિયો પોલીસ પાસે નથી અને જવાબ પથ્થર ફેકતાં હતાં તેમાના એક પણ વ્યક્તિ સામે FIR થઈ નથી. જેથી બીજેપીનું આ ષડયંત્ર હતું એ સ્પષ્ટ થાય છે. અંતમાં તેમણે જણાવ્યું હતું કે, AAPના નેતાઓ અને ખેડૂતોની લડત બાદ કડદા પ્રથા બંધ કરવા માટે પરિપત્ર કરવો પડ્યો તે ખૂબ જ મોટી વાત છે પરંતુ અમલીકરણ થાય તે ખૂબ જ જરૂરી છે. 'વેપારીઓ સામે સિંઘમગીરી કરતા પોલીસ અધિકારીઓએ કેમ કાર્યવાહી ન કરી'આ ઉપરાંત સુરેન્દ્રનગર જીલ્લા AAPના રમેશ મેરે જણાવ્યું હતું કે, ખેડૂતો પોતાનો મહામૂલો પાક માર્કેટમાં વેચવા ગયા ત્યારે વેપારીઓ તેમના પાકને કડદાની જેમ કાઢી નાખતા હતા તે વેપારીઓ સામે સિંઘમગીરી કરતા પોલીસ અધિકારીઓએ કેમ કાર્યવાહી ન કરી. દિવાળી ખેડૂતોએ જેલમાં ઉજવવી પડી ત્યારે અન્ય ખેડૂતો તેમના ઘરના પ્રસંગ પૂર્ણ કરવાની સાથે વાડીમાં કામ પણ કરી આવ્યા. 'પતિ જેલમાં હોવાથી સગર્ભા મહિલાને રાત્રે પાણી વાળવું પડ્યું'તેમણે જણાવ્યું હતું કે, જેલમાં એક ખેડૂત દાદા એવા હતા કે તેમને કેન્સર હતુ છતા તેમને દવા આપવામાં આવી, અન્ય ખેડૂતના પરિવારમાં દીકરા - દીકરીના લગ્ન અટકી ગયા જ્યારે એક ખેડૂતના પત્ની ગર્ભવતી હતા. જોકે પતિ જેલમાં હોવાથી સગર્ભા મહિલાને રાત્રે પાણી વાળવું પડ્યું. આનાથી બીજી કરુણતા કઈ હોઈ શકે. બોટાદમાં AAPની ખેડૂત મહાપંચાયતમાં પોલીસ-ખેડૂતો વચ્ચે ઘર્ષણબોટાદ APMCમાં કપાસ અને અન્ય જણસમાં કડદો કરી ચલાવાતી લૂંટને લઈને ચાલતો વિવાદ આજે વકર્યો હતો. પોલીસ દ્વારા મંજૂરી નકારાઈ હોવા છતાં, બોટાદના હડદડ ગામે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોની એક પંચાયત યોજાઈ હતી, જે દરમિયાન પોલીસ અને એકઠા થયેલા લોકો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું.(વાંચો સંપૂર્ણ સમાચાર) હડદડ ઘર્ષણ કેસને લગતાં આ સમાચાર પણ વાંચો.... 'હડદડ હિંસા AAPનું ષડ્યંત્ર’:રાજુ કરપડાના ઉશ્કેરાટભર્યા ભાષણથી હિંસા ભડકી; AAP વાળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો, સરપંચ પતિનો ઘટસ્ફોટ, MLA કહ્યું- બદનામ કરવાનું કાવતરું બોટાદમાં રાજુ કરપડા-પ્રવીણ રામ સહિત 85 સામે FIR, ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું - AAPએ મંજૂરી વગર પ્રસિદ્ધી માટે હડદડમાં મહાપંચાયત કરી, બહારના લોકોને બોલાવ્યાં ખેડૂત આગેવાન રાજુ કરપડાની અટકાયત, બોટાદ APMCમાં ખેડૂતોનું 'કડદા' વિરોધી આંદોલન

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 5:36 pm

વિજ ચોરી અટકાવવા PGVCLની ઝુંબેશ:વઢવાણ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં દરોડા, ₹38.68 લાખનો દંડ

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વધી રહેલા વીજ લોસને નિયંત્રિત કરવા માટે પીજીવીસીએલ વિભાગ દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જિલ્લાનો વીજ લોસ 25%થી વધુ થતાં વીજ તંત્ર દ્વારા ઉપરાછાપરી દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ ઝુંબેશ અંતર્ગત વઢવાણ, દૂધરેજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેવા કે સવલાણા, ખમીસાણા અને પેઢડામાં વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન કુલ 582 વીજ જોડાણો તપાસવામાં આવ્યા હતા, જેમાંથી 87 જોડાણોમાં ગેરરીતિ માલૂમ પડી હતી. ગેરરીતિમાં 81 ઘર વપરાશના, 3 વાણિજ્ય હેતુના અને 3ખેતીવાડીના કનેક્શનનો સમાવેશ થાય છે. આ મેગા સર્ચ ઓપરેશનમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 12એસઆરપી જવાનો, 11પોલીસ કર્મચારીઓ અને 4વિડિયોગ્રાફરની મદદ લેવામાં આવી હતી. તપાસમાં ઝડપાયેલી ગેરરીતિ બદલ પીજીવીસીએલ દ્વારા કુલ રૂ.38.68 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 5:16 pm

ભસી-ભસી આખા ગામને માથે લેનાર યુવકને હડકવા જ નહોતો!:મહત્વનું સિમટમ્સ ન દેખાતા ડોક્ટર ચોંક્યા; ચાર પગે ચાલ્યો, શ્વાનની જેમ લોકોને કરવડા દોડ્યો ને 24 કલાકમાં જ સ્વસ્થ?

પાલનપુરના નરાસળ ગામમાં શુક્રવારે રાત્રે એક યુવકને હડકવા ઉપડતાં શ્વાનની જેમ ભસવા લાગ્યો હતો અને લોકોને કરડવા દોડતા સ્થાનિકોએ દોરડાથી બાંધીને પાલનપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો, જ્યાં પણ યુવકે ધમાલ મચાવી હતી. જેના વીડિયો પણ સામે આવ્યા હતા. જોકે, આ યુવક 24 કલાકમાં જ એકદમ સ્વસ્થ થઇ જતા ડોક્ટરો ગોથે ચડી ગયા છે અને જણાવી રહ્યા છે કે ગઇકાલે તમામ લક્ષણો હડકવાના હતા. જોકે, આજે હડકવાનું એક લક્ષણ નથી. આજે દર્દી એકદમ સ્વસ્થ: ડોક્ટરબનાસ મેડિકલ હોસ્પિટલના ડોક્ટર સુનીલ જોશીએ જણાવ્યું કે, ગઇકાલે દર્દીમાં તમામ લક્ષણો હડકવાના હતા. ધમાલ મચાવ્યા બાદ દર્દી બેભાન થઇ ગયો હતો અને કઇપણ બોલતો નહોતો. જોકે, આજે તે એકદમ સ્વસ્થ છે અને વાતચીત પણ કરે છે. દર્દી અમારા તમામ પ્રશ્નનોનો જવાબ આપી રહ્યો છે. એ જણાવી રહ્યો છે કે એને ત્રણ મહિના અગાઉ કૂતરૂ કર્યું હતું અને એની રસી એણે પાલનપુર સિવિલમાં જ લીધેલી છે. 'યુવકે મારી નજરની સામે જ પાણી પીધુ'ડોક્ટર સુનીલ જોશીએ વધુમાં જણાવ્યું કે, ગઇકાલે દર્દીમાં તમામ લક્ષણો હડકવાના હતા, પરંતું આજે તેનામાં એકપણ લક્ષણ હડકવાનું નથી. જે કોઇને હડકવા થયો હો એને પાણીથી ખુબ જ ડર લાગે, દર્દીને હાઇડ્રો ફોબિયા થઇ જાય જેથી તે દર્દી પાણીથી દુર રહે. પણ આ દર્દીમાં એવું કંઇ જ નથી. યુવકે મારી નજરની સામે જ પાણી પીધુ છે અને ભોજન પણ લીધું છે. જોકે, દર્દીને હડકવા નથી એવું ન કહી શકાય. હજી દર્દી સારવાર હેઠળ છે, અમારા સ્પેશિયલ ડોક્ટરો તપાસ કરી રહ્યા છે. 'હડકવાનું લક્ષણ નથી એ વિચારવા જેવી બાબત'ડોક્ટર સુનીલ જોશીએ વધુમાં કહ્યું કે, હડકવામાં પાણીથી ડર લાગવો એ મુખ્ય લક્ષણ હોય છે, પણ આ દર્દીમાં એવું નથી એટલે એ વિચારવા જેવી બાબત છે. અમે આ દર્દીને સાઈકિયાટ્રિકને પણ બતાવીશું. આ દર્દીને મગજની અસર લાગે છે. જો હડકવા થયો હોય તો દર્દી સ્વસ્થ થાય એવા બહું ઓછા કિસ્સા હોય છે. હાલ અમારા ડોક્ટરોની ટીમ દર્દીના તમામ ટેસ્ટ કરી રહ્યા છે. જેના રિપોર્ટ બાદ કહી શકાય કે હકીકતમાં દર્દીને શું થયું હતું. શું છે સમગ્ર મામલોમૂળ સાબરકાંઠાના અને હાલ પાલનપુરના નરાસળ ગામમાં ભાગિયા તરીક કામ કરતા યુવકને ત્રણ મહિના પહેલાં એક કૂતરાએ બચકાં ભર્યાં હતાં. જેનામાં હડકવાનાં ગંભીર લક્ષણો જોવા મળ્યાં હતાં. યુવક શ્વાનની જેમ ભસવા લાગ્યો હતો અને ચાર પગે ચાલીને લોકોને કરડવા દોડતો હતો. તે અચાનક ઘરમાં હિંસક બનીને પોતાની પત્ની પર પણ હુમલો કરવા દોડ્યો હતો. દોરડાની મદદથી યુવકને ઝાડ સાથે બાંધી દીધોપરિસ્થિતિની ગંભીરતા જોતાં પરિવારજનો, ગામલોકો અને પોલીસે દોરડાની મદદથી યુવકને કાબૂમાં લીધો હતો અને એક ઝાડ સાથે બાંધી દીધો હતો. ત્યાર બાદ તેને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો…

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 5:14 pm

પ્રેમજાળમાં ફસાવી હવસનો શિકાર બનાવી:સુરતમાં 17 વર્ષની તરુણીને પ્રેમજાળમાં ફસાવી ગોપીતળાવ ખાતે ફરવા લઈ જઈ દુષ્કર્મ આચર્યું, બ્લેકમેઇલ કરી ભગાડી જનાર ઝડપાયો

સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતી અને ઉધનામાં ધાગા કટીંગનું કામ કરવા જતી 17 વર્ષની તરુણીને ત્યાં જ રહેતા અન્ય ધર્મના યુવાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. નવ દિવસ અગાઉ તે તરુણીને બેલ્કમેઇલ કરી ઉત્તરપ્રદેશ ભગાડી ગયો હતો. જોકે, ડીંડોલી પોલીસે તરુણીને રેલવે પોલીસની મદદથી શોધી કાઢી ચાલતી ટ્રેનમાંથી યુવાનને પણ ઝડપી લીધો હતો. લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યુંમળતી માહિતી પ્રમાણે સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની 17 વર્ષની દીકરી ઉધના ખાતે એક ખાતામાં ધાગા કટીંગનું કામ કરવા માટે જતી હતી. તે જ ખાતામાં કામ કરતા અને ત્યાં જ રહેતા રફીકે તેને ગત નવેમ્બર, 2024માં પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને તેને લગ્નની લાલચ આપી ગોપીતળાવ ખાતે ફરવા લઇ જઈ તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. રેલવે પોલીસની મદદ મેળવીને તરુણીને ઝાંસી ખાતેથી ટ્રેનમાંથી મુક્ત કરાવી બાદમાં ગત 22મીના રોજ તે તરુણીને બ્લેકમેઇલ કરી ભગાડીને લઈ ગયો હતી. આ અંગે તરુણીના પરિજને ડીંડોલી પોલીસમાં ફરિયાદ કરતા હરકતમાં આવેલી ડીંડોલી પોલીસે તરુણીનું લોકેશન મેળવતા તે ઉત્તરપ્રદેશ તરફ ટ્રેનમાં જતી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી, ડીંડોલી પોલીસે રેલવે પોલીસની મદદ મેળવીને તરુણીને ઝાંસી ખાતેથી ટ્રેનમાંથી મુક્ત કરાવી હતી. જોકે, તેને ભગાડી જનાર રફીક પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. ડીંડોલી પોલીસે તરુણીને સુરત લાવી તેની પુછપરછના આધારે ગતરોજ આ અંગે ગુનો નોંધી તરુણીને ભગાડી જનાર અન્ય ધર્મના લબરમુછીયા રફીક મોહમ્મદ સુભાન અન્સારી ( ઉ.વ.20, રહે.પ્લોટ નં.૨, જાડીયા કમ્પાઉન્ડ, ક્રિષ્ણા પેટ્રોલ પંપ પાસે, ઉધના નહેર, સુરત. મૂળ રહે.બિહાર)ને પણ ઝડપી લીધો હતો. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી રહી છે. આરોપીનો કોઈ ગુનાહિત ઈતિહાસ મળી આવ્યો નથીએન.પી.ગોહિલ (ACP)એ જણાવ્યું હતું કે, તરુણી જ્યારે ટ્રેનમાં જઈ રહી હતી ત્યારે મહોબા જંક્શન પાસે રેલવે પોલીસને શંકા જતાં તેની પૂછપરછ કરવામાં આવી હતી. દીકરીએ હકીકત જણાવતા રેલવે પોલીસે ડિંડોલી પોલીસ અને તેના વાલીઓનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ દીકરીને સુરત પરત લાવવામાં આવી છે. આરોપી વિરુદ્ધ BNS (ભારતીય ન્યાય સંહિતા) અને POCSO (પોક્સો) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીની અટકાયત કરી છે અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. હાલ સુધીની તપાસમાં આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ મળી આવ્યો નથી, પરંતુ બિહાર પોલીસ પાસેથી પણ તેની વિગતો મંગાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:36 pm

નવસારી હાઈવે પરથી 37 લાખનો દારૂ ઝડપાયો:કોલસા પાવડરની આડમાં સંતાડેલો હતો, કુલ 52 લાખનો મુદ્દામાલ જપ્ત

નવસારી રૂરલ પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પર મોટી કાર્યવાહી કરી છે. પોલીસે બાતમીના આધારે એક કન્ટેનરમાંથી ₹37.08 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને કુલ ₹52.13 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહ અને નવસારી એસપી રાહુલ પટેલની સૂચના બાદ રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ વી.જી. ભરવાડ અને તેમની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ નજુભાઈ અને કોન્સ્ટેબલ અશોકભાઈને રાજસ્થાન પાસિંગના કન્ટેનર (RJ-30-GB-3036) માં દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે બોરીયાચ ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ કન્ટેનર આવતા તેને અટકાવી તલાશી લેવામાં આવી હતી. કન્ટેનરમાં ડ્રાઈવરની કેબિન પાછળ બનાવેલા ગુપ્ત ખાનામાં કોલસાના પાવડરની થેલીઓની આડમાં વિદેશી દારૂ સંતાડવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ₹37.08 લાખની કિંમતની 3120 બોટલ વિદેશી દારૂ (વ્હિસ્કી અને રમ), ₹15 લાખની કિંમતનો ટાટા કન્ટેનર ટ્રક, ₹5,720 રોકડ અને મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કોલસાના પાવડરની 130 ગુણી, ટેક્સ ઇન્વોઇસ અને ઇ-વે બિલ પણ જપ્ત કરાયા છે. કુલ ₹52,13,720/- નો મુદ્દામાલ કબજે લેવાયો છે. પોલીસે કન્ટેનરના ડ્રાઈવર શિવલાલ પન્નાલાલ માળી (રહે. દેવગઢ, રાજસમન્દ, રાજસ્થાન) ની ધરપકડ કરી છે. દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર કિશન માળી અને શાંતિલાલ માળી (બંને રહે. રાજસ્થાન) ને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં રૂરલ પીઆઈ વી.જી. ભરવાડ, પીઆઈ એચ.આર. બારોટ, એએસઆઈ રવિન્દ્રભાઈ, હેડ કોન્સ્ટેબલ નજુભાઈ, પ્રવિણભાઈ તથા કોન્સ્ટેબલ અશોકભાઈ, હિમાંશુભાઈ અને અજયભાઈનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:21 pm

ગોધરામાં બ્રાઇટમેટ ઇન્સ્ટિટ્યૂટનો વિદાય સમારંભ:વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાવુક પળો સાથે ઉજવી યાદગાર ક્ષણો

ગોધરાની જાણીતી શૈક્ષણિક સંસ્થા બ્રાઇટમેટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા શહેરની એક ખાનગી હોટલ ખાતે વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉત્સાહભેર જોડાયા હતા. સેલિબ્રેશન દરમિયાન વિદ્યાર્થીઓએ અદભૂત ડાન્સ પરફોર્મન્સ આપીને વાતાવરણને જીવંત બનાવ્યું હતું. સંસ્થાના સંચાલકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સાથે મળીને કેક કાપીને વર્ષ દરમિયાનની સફરની ઉજવણી કરી હતી. કાર્યક્રમના અંતિમ ચરણમાં વિદાયની ઘડી આવતા વાતાવરણ ગમગીન બન્યું હતું. વિદ્યાર્થીઓ અને શિક્ષકો એકબીજાને ભેટીને ભાવુક થયા હતા, અને અનેકની આંખોમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે કેટલાક મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા. તેમાં ગોધરા સાર્વજનિક શિક્ષણ મંડળના પ્રમુખ ભૂપેશકુમાર શાહ, શ્રી શરદ શાહ કોલેજના પ્રિન્સિપાલ નીતાબેન શાહ અને બ્રાઇટમેટ ઇન્સ્ટિટ્યૂટના અક્ષય શાહનો સમાવેશ થાય છે. આ ફેરવેલ સેલિબ્રેશન માત્ર એક ઉજવણી જ નહીં, પરંતુ ગુરુ અને શિષ્ય વચ્ચેના અતૂટ પ્રેમ અને લાગણીનું પ્રતીક બની રહ્યું હતું. વિદ્યાર્થીઓએ મસ્તી-મજા સાથે પોતાના અભ્યાસકાળના સંસ્મરણો વાગોળ્યા હતા.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:11 pm

આંખોમાં કોઈપણ પ્રકારની તકલીફ જણાય તો અવગણશો નહીં!:ઠંડી હવા અને પવનના કારણે આંખોની એલર્જીના કેસોમાં વધારો; ડોક્ટરની સલાહ વિના ટીપા લેવા પણ જોખમી

શિયાળાની ઋતુ શરૂ થતાં જ વાતાવરણમાં થતી બદલાવની સીધી અને ગંભીર અસર માનવ આંખો પર જોવા મળી રહી છે. ખાસ કરીને ઠંડી હવા અને પવનના કારણે આંખોની એલર્જીના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. આંખના રોગના નિષ્ણાંત જણાવે છે કે આ ઋતુમાં આંખો સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ સામે આવી રહી છે. શિયાળામાં સામાન્ય રીતે આંખો ડ્રાય થવી, આંખોમાં ખંજવાળ આવવી, લાલાશ થવી, સોજો આવવો તેમજ આંખોમાંથી સતત પાણી નીકળવાની ફરિયાદો વધી જાય છે. કેટલાક ગંભીર કેસોમાં આંખની કીકીમાં સોજો આવવાથી દર્દીને ધૂંધળું દેખાવાની સમસ્યા પણ થાય છે, જેના કારણે રોજિંદા કામકાજમાં અડચણ ઊભી થાય છે. ડોક્ટરની સલાહ વિના લેવાતા આંખના ટીપાં નુકસાનકારકઃ ડોક્ટરઅમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં આંખ એલર્જીના દરરોજ સરેરાશ 3થી 5 દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. હોસ્પિટલના આંખ વિભાગના ડોક્ટરો જણાવ્યું કે, શિયાળાની ઠંડી હવા અને સૂકા પવનના કારણે આંખોની કુદરતી ભેજ ઘટી જાય છે, જેના કારણે ડ્રાય આઈ અને એલર્જી જેવી સમસ્યાઓ વધે છે. ઘણા લોકો આંખોમાં થતી તકલીફને સામાન્ય માનીને જાતે જ મેડિકલ સ્ટોરમાંથી ટીપાં લઈ લે છે, પરંતુ ડોક્ટરની સલાહ વિના લેવાતા આંખના ટીપાં નુકસાનકારક સાબિત થઈ શકે છે અને કેટલીક વખત સમસ્યા વધારે ગંભીર બની શકે છે. શિયાળામાં આંખોની કાળજી લેવી ખાસ જરૂરીઆંખના નિષ્ણાતો સ્પષ્ટ રીતે ચેતવણી આપે છે કે, આંખોમાં કોઈપણ પ્રકારની તકલીફ જણાય તો તેને અવગણવી નહીં. સમયસર આંખના ડોક્ટરની સલાહ લેવાથી ગંભીર નુકસાનથી બચી શકાય છે. ડોક્ટર બતાવ્યા બાદ જ યોગ્ય ટીપાં કે દવાઓ લેવી જોઈએ, જેથી આંખોની સુરક્ષા જળવાઈ રહે. શિયાળાની ઋતુ દરમિયાન આંખોની યોગ્ય કાળજી લેવી, ધૂળ અને પવનથી બચાવ કરવો અને જરૂર પડે ત્યારે તાત્કાલિક નિષ્ણાતની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:08 pm

ઓનલાઈન 'એસ્કોર્ટ સર્વિસ' પર અમદાવાદ પોલીસની સ્ટ્રાઈક:120 એકાઉન્ટ હોલ્ડર સામે ફરિયાદ, કેટલાક એકાઉન્ટમાંથી મહિલાઓના ન્યૂડ ફોટો-વીડિયો મળ્યા

ઓનલાઈન એસ્કોર્ટ સર્વિસનો ચાલતા ગોરખધંધા પર અમદાવાદ પોલીસ સ્ટ્રાઈક કરી છે. ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર, ફેસબુક જેવા અલગ અલગ સોશિયલ મીડિયા પર ચાલતા 120 જેટલા એકાઉન્ડ હોલ્ડર સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે એકાઉન્ટની તપાસ કરતા કેટલાક એકાઉન્ટમાંથી મહિલાઓના ન્યૂડ ફોટો-વીડિયો પણ મળી આવ્યા છે. ઓનલાઈન એસ્કોર્ટ સર્વિસ ચલાવતા લોકો ગ્રાહકોને ફસાવી ઓનલાઈન ફ્રોડ કરતા હોવાનું સામે આવ્યું છે. એસ્કોર્ટ સર્વિસ માટે યુવતીઓના મોર્ફ કરેલા ન્યૂડ ફોટોનો ઉપયોગઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઓનલાઇન એસ્કોર્ટ સર્વિસ ચલાવતા 120 સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કાર્યવાહી કરી છે.અલગ અલગ પ્લેટફોર્મ પરથી એસ્કોર્ટ સર્વિસ ચલાવવામાં આવતી હતી જેમાં યુવતીઓ ફોટા અને મોર્ફ કરેલ ન્યૂડ ફોટાનો ઉપયોગ કરવામાં આવતો હતો.આ તમામ એકાઉન્ટ અમદાવાદથી અને આસપાસથી ચાલતા હોવાનું જાણવા મળ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે દ્વારા સોશિયલ મીડિયામાં મોનીટરીંગ કરીને છેલ્લા ત્રણ મહિનામાં સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર ચાલી રહેલા એસ્કોર્ટ સર્વિસ અંગે તપાસ હાથ ધરી હતી.આ તપાસ દરમિયાન કેટલાક એકાઉન્ટ ખોટા હોવાનું પણ સામે આવ્યું હતું જે યુવતીના ખોટા ફોટો અને મોર્ફ કરેલા ન્યૂડ ફોટાનો ઉપયોગ કરીને ગ્રાહકોને આકર્ષી પૈસા પડાવતા હતા. એસ્કોર્ટ સર્વિસના નામે ખંખેરાતા લોકોક્રાઈમ બ્રાન્ચના પીઆઇ જયેશ મકવાણાએ જણાવ્યું હતું કે ઈન્સ્ટાગ્રામ,ફેસબુક, ટ્વીટર સહિતમાં 120 જેટલા એકાઉન્ટ સામે ફરિયાદ કરવામાં આવી છે.કેટલાક એકાઉન્ટ દ્વારા કલાક દીઠ ભાવ આપીને લોકોને ખોટા ફોટાથી આકર્ષીને UPI આઇડીથી પૈસા પડાવવામાં આવે છે.AI મારફતે પણ ફોટો બનાવી સોશિયલ મીડિયામાં ફોટો મૂકીને લોકોને છેતરાવામાં આવી રહ્યા છે. કેવી રીતે ઓનલાઇન એસ્કોર્ટ સર્વિસ ચાલે છે?સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર યુવતીઓના ફોટા અને નીચે કલાકથી લઈને નાઈટ સુધીના ભાવ લખવામાં આવે છે.જ્યારે કોઈ વ્યક્તિ ઇન્કવાયરી કરે ત્યારે તેને તમામ વિગતો મોકલવામાં આવે છે.યુવતીઓના ફોટા જોઈને ગ્રાહકો આકર્ષાઈ જાય જે બાદ એડવાન્સ પેમેન્ટ ના નામે કેટલીક રકમ યુપીઆઈ આઈડી મોકલીને લેવામાં આવે છે.જ્યારે કોઈ વ્યક્તિ પૈસા આપે તે બાદ તે વ્યક્તિને બ્લોક કરી દેવામાં આવે છે જેનાથી ઓનલાઇન એસ્કોર્ટ સર્વિસનો નામે ગ્રાહક છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:06 pm

ગુંદવહળ ગામમાં દુકાનમાં આગથી ભારે નુકસાન:જમવાનું બનાવતી વખતે અચાનક ભભૂકી ઉઠી

ગુંદવહળ ગામમાં યોગેશ પાલવાની દુકાનમાં આજે આગ લાગી હતી. જમવાનું બનાવતી વખતે અચાનક ભભૂકેલી આ આગમાં દુકાનનો મોટાભાગનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો, જેના કારણે ભારે નુકસાન થયું છે. પ્રાથમિક માહિતી અનુસાર, દુકાનમાં રોજિંદા વ્યવસાય મુજબ જમવાનું બનાવવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ જમવાનું બનાવતી વખતે ગેસ કે અન્ય જ્વલનશીલ સામગ્રીને કારણે આગ લાગી હોવાની શક્યતા છે. આગ લાગતાની સાથે જ દુકાનમાંથી ધુમાડાના ગોટેગોટા ઉઠતા ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ પાણીના ટાંકા અને અન્ય સાધનોની મદદથી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. સાપુતારા નોટિફાઈડ એરિયા કચેરીને જાણ કરાતા, તેમની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને ગ્રામજનોના સહકારથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, દુકાનમાં રાખેલ ખાદ્ય સામગ્રી, ફર્નિચર અને અન્ય જરૂરી સામાન બળી જવાથી દુકાન માલિક યોગેશભાઈ ભાસ્કરભાઈ પાલવાને મોટું આર્થિક નુકસાન થયું છે. આગની તીવ્રતાને કારણે દુકાનની અંદરની રચનાને પણ નુકસાન થયું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આ ઘટના બાદ સ્થાનિક લોકોએ દુકાનો અને ઘરોમાં આગ સલામતીના સાધનો રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તંત્ર દ્વારા આગના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરવામાં આવશે તેવી માહિતી મળી છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 3:53 pm

બજેટ 2026માં સુરત માટે 'ગોલ્ડન' ન્યૂઝ:ટેક્સટાઇલ અને ડાયમંડ હબ હવે ગ્લોબલ લોજિસ્ટિક મેપ પર ચમકશે, વિશેષ ટેક્સટાઇલ યુનિવર્સિટીની સ્થાપના કરવાની જાહેરાત

કેન્દ્રીય બજેટ 2026-27 સુરતના ટેક્સટાઇલ જગત માટે આશાનું નવું કિરણ લઈને આવ્યું છે. વર્ષોથી ચાલી આવતી માંગણીઓને સંતોષતા કેન્દ્ર સરકારે જૂની ટેક્સટાઇલ સ્કીમો જેવી કે યાર્ન બેન્ક સ્કીમ અને ગ્રુપ વર્કશેડ સ્કીમ માટેના બજેટમાં ધરખમ વધારો કર્યો છે. અગાઉ આ યોજનાઓ માટે માત્ર રૂ. 20 કરોડની જોગવાઈ હતી, જે હવે વધારીને રૂ. 50 કરોડ કરવામાં આવી છે. આ ફંડમાં થયેલા વધારાને કારણે સુરતના ઉદ્યોગકારો હવે વિદેશથી અત્યાધુનિક હાઈ-સ્પીડ મશીનો લાવી શકશે, જે ઉત્પાદન ક્ષમતા અને ગુણવત્તા બંનેમાં વધારો કરશે. બીજી તરફ, સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રે મજબૂત કરવા માટે સરકારે વિશેષ ટેક્સટાઇલ યુનિવર્સિટીની સ્થાપના કરવાની જાહેરાત કરી છે. આ યુનિવર્સિટી સુરતના યુવાનોને ટેક્સટાઇલ એન્જિનિયરિંગ અને ડિઝાઇનિંગના ક્ષેત્રમાં વૈશ્વિક કક્ષાનું શિક્ષણ પૂરું પાડશે. ઉદ્યોગકારોનું માનવું છે કે આ બજેટથી સુરતનું કાપડ બજાર આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવા માટે વધુ સજ્જ બનશે. હાઈ-સ્પીડ ટેકનોલોજી અને કુશળ માનવબળના સમન્વયથી સુરત ફરી એકવાર 'સિલ્ક સિટી' તરીકે વિશ્વફલક પર ચમકશે. કાપડ ઉદ્યોગમાં રોજગારી વધારવા મહત્વની જાહેરાતોનાણા પ્રધાને કાપડ ઉદ્યોગમાં રોજગારી વધારવા માટે ‘ટેક્સટાઇલ લેબર ઇન્સેન્ટિવ સ્કીમ’ (Textile Labor Incentive Scheme) અને હસ્તકલાના વિકાસ માટે ‘નેશનલ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ પ્રોગ્રામ’ શરૂ કરવાની જાહેરાત કરી છે. સૌથી મહત્વની વાત એ છે કે, દેશમાં ‘ચેલેન્જ મોડ’ હેઠળ નવા મેગા ટેક્સટાઇલ પાર્ક સ્થાપવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ગ્રામીણ સ્તરે રોજગારી પૂરી પાડતા ખાદી અને હસ્તશિલ્પ ઉદ્યોગને વધુ મજબૂત કરવા માટે ‘મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ પહેલ’ શરૂ કરવામાં આવશે, જેનો સીધો લાભ ગુજરાતના ગ્રામીણ કારીગરોને મળશે. આ ઉપરાંત આગામી વર્ષોમાં MSMEs ને ‘ચેમ્પિયન’ બનાવવાના લક્ષ્ય સાથે, ટેક્સટાઇલ ક્ષેત્રે કાર્યરત નાના અને મધ્યમ ઉદ્યોગો માટે નવી પ્રોત્સાહક યોજનાઓ જાહેર કરવામાં આવી છે. બજેટમાં 2 નવા હાઈટેક ટૂલ રૂમ બનાવવાની જાહેરાત સાથે ટેક્નોલોજીકલ અપગ્રેડેશન પર ભાર મુકાયો છે. આ નવી યોજનાઓ અને મેગા પાર્કના નિર્માણથી ગુજરાતના સુરત અને અમદાવાદ જેવા ટેક્સટાઇલ હબમાં નિકાસ વધશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય કાપડની સ્પર્ધાત્મકતામાં વધારો થશે. ટેક્સટાઈલ ઉદ્યોગકારો દ્વારા બજેટને આવકારનિખિલ મદ્રાસી (પ્રમુખ, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી) એ જણાવ્યું હતું કે, આજના કેન્દ્રીય અંદાજપત્રને હું આવકારું છું. ઉદ્યોગને ગતિ આપનારું આ બજેટ છે તેમ કહેવું પણ ખોટું નથી. કારણ કે સુરતના ટેક્સટાઇલના સંદર્ભની વાત કરું તો, 'સેન્ટર ઓફ એક્સેલન્સ' ટેક્સટાઇલના સંદર્ભમાં ચેમ્બર ઓફ કોમર્સ સ્થાપિત કરવા માંગે છે, તેની જે જોગવાઈ હતી તે ઓછી હતી. જે વધારવાની વાત અમે કરી હતી અને એ માંગ અત્યારે ફળીભૂત થઈ છે. એના કારણે હવે અમારા એ ચક્રો વધારે સારી રીતે ગતિમાન થશે. આ બજેટમાં 5 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર ઘણું ધ્યાન આપવામાં આવશે. એમાં 20 નવા રાષ્ટ્રીય જલમાર્ગો, 7 હાઈ-સ્પીડ રેલ કોરિડોર - આ સૌથી અમોઘ શસ્ત્ર સાબિત થશે એમ પણ લાગે છે. આ ઉપરાંત મોડર્નાઇઝેશન ઓફ ક્લસ્ટર એલોકેશન ઓફ ફંડ; અલગ-અલગ ક્લસ્ટરોની અંદર જો ફંડ વધારે આપવામાં આવે તો તેનો વિકાસ વધારે શક્ય બને. આમ, હું માનું છું કે શોષિત, વંચિત અને ગરીબોને રોજગારી આપતું અથવા તો એ વર્ગને આગળ વધારતું આ 'સંવેદનશીલ બજેટ' છે એમ હું ચોક્કસ કહી શકું. ટેક્સટાઇલમાં 'સેન્ટર ઓફ એક્સેલન્સ' સાબિત થશે, જેને કારણે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (RD) ને વેગ મળશે. નવી-નવી ટેકનોલોજી કઈ રીતે સાબિત કરી શકાય તેના પ્રયોગો કરવા હોય તો લેબોરેટરીઓ જોઈએ. આ સેન્ટર ઓફ ટેક્સટાઇલ એક્સેલન્સની અંદર આ જ બધી વાતો હશે અને હું માનું છું કે આ જોગવાઈને કારણે સૌથી મોટો ફાયદો થશે. આ બજેટમાં ચેમ્બરની ઘણી બધી માંગણીઓ સંતોષવામાં અમે આગળ વધ્યા છીએ. ક્લસ્ટર ડેવલપમેન્ટમાં વધારેમાં વધારે ફંડ એલોકેશન, સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ટેક્સટાઇલ - હું માનું છું કે આનાથી વિશેષ વાત બીજી શું હોઈ શકે? ટૂંકમાં, અમને અમારી મહેનતનું પરિણામ મળી રહ્યું છે તેમ હું ચોક્કસ કહી શકું. અમે સરકારનો આભાર માનીએ છીએ કે તેમણે વિકાસને પ્રોત્સાહન આપતું અને ઉદ્યોગની મુખ્ય અડચણોને દૂર કરતું સકારાત્મક બજેટ રજૂ કર્યું છે, જે ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રને નવી ગતિ આપે છે. આ બજેટથી લિક્વિડિટી સુધરશે, ઉત્પાદનને ટેકો મળશે અને સમગ્ર વેલ્યુ ચેઇનમાં એક્સપોર્ટ વધુ મજબૂત બનશે. સુરતના હીરા ઉદ્યોગકારોની પ્રતિક્રિયાદિનેશ નાવડિયા (હીરા ઉદ્યોગપતિ) એ જણાવ્યું હતું કે, 2026 બજેટની અંદર જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર માટે ત્રણ-ચાર જાહેરાતો ખૂબ સારી કરવામાં આવી છે અને એક-બે ડિમાન્ડોને નિગ્લેક્ટ પણ કરવામાં આવી છે. ખાસ કરીને LGD ડાયમંડ (Lab Grown Diamond) ની અંદર જે 2026 માર્ચની અંદર ચિપ્સના ઈમ્પોર્ટ પર કસ્ટમ ડ્યુટી લાગતી હતી, તેની મુદત પૂરી થતી હતી તેને વધારીને 2028 સુધી કરવામાં આવી છે, જે આવકારદાયક છે. ઈ-કોમર્સ બિઝનેસ ની અંદર પણ 10 લાખની જે લિમિટેશન હતી, એને વધારીને અનલિમિટેડ કરવામાં આવી છે કે જેથી કરીને ઈ-કોમર્સના માધ્યમથી સરળ રીતે MSME સેક્ટર સાથે જોડાયેલા લોકો પોતાનું એક્સપોર્ટ પણ કરી શકે અને ડોમેસ્ટિક માર્કેટની અંદર પણ માલ સપ્લાય કરી શકશે. સૌથી સારી બાબત એ પણ છે કે MSME સેક્ટર માટે લોકોની આર્થિક સમૃદ્ધિ (ઈન્ડસ્ટ્રીમાં સારી રીતે ફાઈનાન્સ મળી રહે એની માટે 10,000 કરોડ રૂપિયા પણ ફાળવવામાં આવ્યા છે, કે જેથી કરીને MSME સેક્ટર ઉદ્યોગ મજબૂત થાય અને સારી રીતે પ્રગતિ કરી શકે. RD (Research and Development) માટે પણ ખૂબ સારું બજેટ ફાળવવામાં આવ્યું છે. ખાસ કરીને ડાયમંડ વર્કર્સને અપગ્રેડેશન કરવા માટે, વધારેમાં વધારે AI (Artificial Intelligence) ના માધ્યમથી ઉપયોગ કઈ રીતે કરે, જ્વેલરી ડિઝાઈનિંગમાં AI નો ઉપયોગ કઈ રીતે થઈ શકે - એની માટેના પ્રોગ્રામો સરળ રીતે લઈ શકે એ માટે પણ ભારત સરકારે આ બજેટમાં ખૂબ સારી જોગવાઈ કરી છે. મેઈન માંગણી એ હતી કે સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ) ની અંદર જે વિદેશની માઈનિંગો આવે છે, એ અત્યારે ફક્ત રફ બતાવી શકે છે, વેચી શકતા નથી. કારણ કે ભારત સરકારનો 4% સેફ હાર્બર ટેક્સ એ આ ઈન્ડસ્ટ્રી માટે અનુકૂળ નથી. અમારી માંગણી હતી કે બેલ્જિયમની અંદર જે પ્રમાણે 'કેરેટ ટેક્સ' લેવામાં આવે છે એ પ્રમાણે સિસ્ટમ એડોપ્ટ કરવામાં આવે, જેથી કરીને કટ એન્ડ પોલિશ્ડના હબ સાથે ભારત પણ એક 'રફ ટ્રેડિંગ હબ' બની શકે. સોના અને ચાંદીના ભાવ વધારાની સામે કસ્ટમ ડ્યુટીમાં રાહત મળશે એવી ઈન્ડસ્ટ્રીની અપેક્ષા હતી, પરંતુ એમાં ઘટાડો કરવામાં આવ્યો નથી. તેમ છતાં, જે કંઈ માંગણીઓ સ્વીકારવામાં આવી છે તે ચોક્કસ ઈન્ડસ્ટ્રીના ગ્રોથ માટે ઉપયોગી થશે એવું અમે માની રહ્યા છીએ. GJEPC દ્વારા કરાયેલી ભલામણો બજેટમાં પ્રતિબિંબિત થઈGJEPC દ્વારા આપવામાં આવેલી અનેક ભલામણો બજેટમાં પ્રતિબિંબિત થઈ છે. ઝડપી, વિશ્વાસ આધારિત કસ્ટમ્સ પ્રક્રિયા, ડિજિટલ એપ્રેઝલ અને સરળ ક્લિયરન્સથી વિલંબ અને ખર્ચ ઘટશે તથા બિઝનેસ ઝડપથી આગળ વધશે. સાથે જ, SEZ એકમોને મર્યાદિત પ્રમાણમાં ડોમેસ્ટિક ટેરિફ એરિયા (DTA)માં રિયાયતી ડ્યૂટી પર વેચાણ કરવાની મંજૂરી આપવાથી ફેક્ટરીઓ તેમની ખાલી ક્ષમતા ઉપયોગમાં લઈ શકશે, કેશ ફ્લો જાળવી શકશે અને રોજગારનું રક્ષણ થશે. કુલ મળીને, આ બજેટ ‘વિકસિત ભારત’ તરફ વિકાસ માટે યોગ્ય દિશામાં પ્રેરણા આપે છે અને 2047 સુધી $100 બિલિયન એક્સપોર્ટના લક્ષ્ય તરફ આપણને વધુ નજીક લાવે છે. એનર્જી સેક્ટર સાથે સંકળાયેલા ઉદ્યોગપતિની પ્રતિક્રિયાડૉ. ચેતન શાહ (ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, Solex Energy Limited) એ જણાવ્યું હતું કે, કેન્દ્રીય બજેટ 2026–27 ભારતની ઊર્જા પરિવર્તન યાત્રામાં ઉત્પાદન ક્ષેત્રને કેન્દ્રસ્થાને રાખે છે. બેટરી, એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ, ક્રિટિકલ મિનરલ પ્રોસેસિંગ અને ન્યુક્લિયર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કસ્ટમ્સ ડ્યુટી છૂટછાટને આગળ વધારીને સરકારે દીર્ઘકાળીન નીતિગત સ્પષ્ટતા આપી છે, જે ભારત માં સ્થાનિક મૂલ્યવર્ધન અને વૈશ્વિક સ્તરે ઉત્પાદન ક્ષમતાને ઝડપી બનાવશે. આ બજેટ એ સ્વીકારે છે કે ઊર્જા સુરક્ષા, સ્વચ્છ ઊર્જાનો અમલ અને ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. સોલાર સાથે સ્ટોરેજના સંકલન પર આપવામાં આવેલ મજબૂત પ્રોત્સાહન, તેમજ અદ્યતન ઉત્પાદન અને સંશોધન તથા વિકાસ (RD) માટેના સમર્થન દ્વારા ‘મેક ઇન ઇન્ડિયા ફોર ધ વર્લ્ડ’ ની ભારતની મહત્ત્વાકાંક્ષાને વધુ મજબૂતી મળે છે—ભારતને માત્ર સ્વચ્છ ટેકનોલોજીનો બજાર નહીં, પરંતુ ઊર્જા પરિવર્તનને આગળ ધપાવતું વિશ્વસનીય વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર તરીકે સ્થાપિત કરે છે. દિલીપ ઊમ્મેન (ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ જણાવ્યું હતું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મૂડી ખર્ચ (કેપેક્સ) પર સતત ભાર, ઉદ્યોગોનો લાંબંગાળાના વિકાસને ટેકો આપવા માટેનુ એક આવકારદાયક પગલું છે. પ્રોજેક્ટ ફાઇનાન્સિંગને મજબૂત બનાવવાના પગલાં, ઔદ્યોગિક ક્લસ્ટરોને પુનર્જીવિત કરવાના પ્રયાસો તથા ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણથી સ્થાનિક ઉત્પાદન અને સ્પર્ધાત્મકતા વધશે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 3:45 pm

બજેટ 2026:MSMEને ગ્લોબલ ચેમ્પિયન બનાવવાની જાહેરાતથી રાજકોટને થશે ફાયદો, જેમ્સ એન્ડ જવેલર્સ એસો.ની બજેટમાં અવગણનાથી વેપારીઓમાં નારાજગી

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે નવમી વખત બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જો કે આજના બજેટમાં સામાન્ય માણસ માટે કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી જયારે MSMEને ગ્લોબલ ચેમ્પિયન બનાવવાની જાહેરાતથી રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને ફાયદો થવાની અપેક્ષા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના હોદેદારો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત સોના ચાંદીમાં સતત ભાવમાં ઉથલપાથલથી રાજકોટની સોની બજાર અને ચાંદી બજારમાં મંદીના માર વચ્ચે આજના બજેટમાં જેમ્સ એન્ડ જવેલર્સ સેકટર માટે કોઈ જાહેરાત કરવામાં ન આવતા સોના ચાંદીના વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે અને આવતા દિવસોમાં સરકાર સુધી લેખિત રજુઆત સાથે માંગણી રજૂ કરવામાં આવશે. રાજકોટ જેમ્સ એન્ડ જવેલર્સ એસોસિએશનના પ્રમુખ મયુર આડેસરાએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આજના બજેટમાં MSME સેકટરને લગતી જાહેરાત કરવામાં આવી છે જે આવકારદાયક છે પરંતુ જવેલરી ઇન્ડસ્ટ્રી માટે કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી. ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવે તેવી આશા હતી, હોલમાર્ક જવેલરીમાં કેપિટલ ગેઇન ઘટાડવામાં આવે તેવી અમારી આશા હતી આ માટે અમે સરકાર સમક્ષ રજુઆત પણ કરી હતી આમ છતાં ધ્યાનમાં લેવામાં આવી ન હતી આગામી દિવસોમાં ફરી સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવશે.. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ડિરેક્ટર અને ગુજરાત કેમિસ્ટ એસોસિએશનના ઉપપ્રમુખ સત્યન પટેલએ જણાવ્યું હતું કે, મેડિકલ સેક્ટર માટે આજના બજેટમાં ખુબ મોટી જાહેરાત કરવામાં આવી છે આજનું બજેટ મેડિકલ ક્ષેત્ર માટે ફૂલ ગુલાબી બજેટ કહી શકાય તેવું છે. બજેટની શરૂઆત જ બાયો ફાર્માથી એટલે મેડિકલ ક્ષેત્રથી કરવામાં આવી છે. 10,000 કરોડ જેવી માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે. ભારતને મેડિકલ ટુરિઝ્મનું હબ બનાવવામાં માટે પાંચ રિજનલ સેન્ટર કરવામાં આવશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ગુજરાતની વાત કરવામાં આવે તો ખાસ જામનગરમાં WHO ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર બનાવવામાં આવશે. અને આયુર્વેદિક AIIMS બનાવવાની જાહેરાત કરવામાં આવી છે તેમજ આયુર્વેદિક દવાઓના ટેસ્ટિંગ માટે નેશનલ લેબ્સ બનાવવામાં આવશે. માટે ખુબ જ આવકાર દાયક બજેટ મેડિકલ ક્ષેત્રે આપવામાં આવ્યું છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી પી વૈષ્ણવએ જણાવ્યું હતું કે, આજ રોજ રજૂ કરવામાં આવ્યું તે બજેટ રાજકોટ અને સૌરાષ્ટ્રને લાભદાયક છે. રાજકોટ અને સૌરાષ્ટ્ર દેશભરમાં MSME સેક્ટર માટે જાણીતું છે અને આજના બજેટમાં MSME સેક્ટર પર ભાર મુકવામાં આવ્યો છે. આત્મનિર્ભર ભારત ફંડ બનાવવામાં આવશે, જેનાથી માઇક્રો એન્ટરપ્રાઇઝિસને મદદ મળશે. લિક્વિડિટી સપોર્ટ માટે ટ્રાન્ઝેક્શન સેટલમેન્ટ પ્રોગ્રામ બનશે. સાથે જ ક્રેડિટ ગેરંટી સપોર્ટ મિકેનિઝમ બનશે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અલગ અલગ 18 માંગણીઓ રજૂ કરવામાં આવી હતી સરકાર સમક્ષ જે પૈકી 3 માંગણીઓ ધ્યાનમાં લેવામાં આવી છે પણ મુખ્ય માંગ MSME સેક્ટરની હતી માટે બજેટને આવકારીએ છીએ.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 3:42 pm

LCB પોલીસે 2.54 લાખના મુદ્દામાલ સાથે એકને પકડ્યો:જામનગરમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપી ઝડપાયો

જામનગરમાં LCB પોલીસે ₹2.54 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. આ કાર્યવાહી શહેરના કામદાર કોલોની વિસ્તારમાં બનેલી ચોરીના ગુના સંદર્ભે કરવામાં આવી હતી. LCB સ્ટાફના ભરતભાઈ ડાંગર, કિશોરભાઈ પરમાર, ઘનશ્યામભાઈ ડેરવાળીયા અને મયુદ્દીનભાઈ સૈયદને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી. બાતમી મુજબ, કામદાર કોલોની શેરી નં-3 માં હીરેનભાઈ કૌશિકભાઈ સોનીના બંધ મકાનના તાળા તોડી રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. આ ચોરીમાં સુનીલ ઉર્ફે ખાનભાઈ રાજુભાઈ પરમાર (દેવીપૂજક, રહે. સાત રસ્તા, સંતોષી માતાજી મંદિર પાસે, જામનગર) સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું હતું. આરોપી જામનગરના દિગ્જામ સર્કલ પાસે ઓવરબ્રિજ નીચે ટી.વી.એસ. મોટરસાયકલ (GJ-10 DP-0771) અને ચોરીના મુદ્દામાલ સાથે ઉભો હોવાની માહિતી મળતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપીનું નામ સુનીલ ઉર્ફે ખાનભાઈ રાજુભાઈ કરશનભાઈ પરમાર (ઉંમર 20, ધંધો મજુરી) છે. તે જામનગરના સાત રસ્તા, સંતોષી માતાજી મંદિર પાસે રહે છે અને મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વડલી ગામનો વતની છે. પોલીસે આરોપી પાસેથી કુલ ₹2,54,100 નો મુદ્દામાલ રિકવર કર્યો છે. જેમાં ₹1,89,000 ના સોનાના દાગીના, ₹5,000 ના ચાંદીના દાગીના, ₹10,000 રોકડા, ₹50,000 નું ટી.વી.એસ. મોટરસાયકલ અને ₹100 ની લોખંડની હથોડીનો સમાવેશ થાય છે. આરોપી બંધ મકાનોના તાળા તોડી ચોરી કરતો હતો. આ કાર્યવાહીથી જામનગર શહેરના સિટી બી અને સિટી સી પોલીસ મથકમાં નોંધાયેલા અન્ય ચોરીના ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે. આ સમગ્ર કાર્યવાહી વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ PSI સી.એમ. કાંટેલીયા, PSI એમ.વી. ભાટીયા અને LCB સ્ટાફના ભરતભાઈ પટેલ સહિતના કર્મચારીઓએ કરી હતી.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 3:31 pm

ધરમપુર કન્યા આશ્રમશાળામાં નવું મકાન લોકાર્પિત:આદિજાતિ વિસ્તારોમાં સ્માર્ટ બોર્ડથી આધુનિક શિક્ષણ અપાશે

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ટાંકી ગામે આવેલી સ્વ. મણીભાઈ આર. ચૌધરી વિદ્યાસંકુલ સંચાલિત કન્યા આશ્રમશાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે આ મકાનનું ઉદ્ઘાટન થયું હતું. આ પ્રસંગે સંસ્થાના આદ્યસ્થાપક સ્વ. મણીભાઈ ચૌધરીની પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, સંસ્થાના ટ્રસ્ટીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ સમારંભને સંબોધતા આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના માનવી સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવાનો છે. આશ્રમશાળાઓને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, આગામી સમયમાં આ કન્યા આશ્રમશાળામાં પણ ‘સ્માર્ટ બોર્ડ’ દ્વારા ડિજિટલ અને આધુનિક શિક્ષણ પૂરું પાડવામાં આવશે. મંત્રીએ સ્વીકાર્યું કે અનેક આદિવાસી વિસ્તારોમાં હજુ પણ નેટવર્કની સમસ્યા છે, જેના કાયમી નિવારણ માટે રાજ્ય સરકાર ભારત સરકાર સાથે સંકલન કરી રહી છે, જેથી કોઈ પણ વિદ્યાર્થી ઓનલાઈન શિક્ષણથી વંચિત ન રહે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પોતાના સંબોધનમાં સંસ્થાની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, આ આશ્રમશાળામાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ આજે અહીં મુખ્ય શિક્ષક તરીકે સેવા આપી રહ્યા છે, જે સંસ્થાના સંસ્કાર અને શિક્ષણની ગુણવત્તાનું ઉત્તમ ઉદાહરણ છે. નાણામંત્રીએ ભારપૂર્વક કહ્યું કે, શિક્ષણ ક્ષેત્રે કરાયેલું રોકાણ જ સમાજ અને રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાખે છે. કાર્યક્રમ દરમિયાન નવનિર્મિત મકાનમાં ઉપલબ્ધ સુવિધાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ મકાનમાં આધુનિક વર્ગખંડો, હોસ્ટેલ સુવિધા, તેમજ સ્વચ્છતા અને સુરક્ષા માટેની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 3:25 pm

ગોધરા સિવિલમાં 15 બેડનો નવો પ્રસૂતિ વોર્ડ શરૂ:પ્રસૂતા માતાઓની હાલાકીનો અંત, દર્દીઓને મળશે વધુ સુવિધા

ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતા માતાઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને 15 નવા બેડ સાથેનો એક નવો પ્રસૂતિ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી દર્દીઓને પડતી હાલાકીનો અંત આવશે અને તેમને વધુ સારી સુવિધા મળી રહેશે.મેડિકલ કોલેજ સંલગ્ન ગોધરા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી પ્રસૂતા માતાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો હતો. દર્દીઓના ભારે ધસારા સામે બેડની સંખ્યા ઓછી હોવાથી તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.અત્યાર સુધી, ગોધરા સિવિલ હોસ્પિટલના પ્રસૂતિ વોર્ડમાં માત્ર 47 બેડની સુવિધા ઉપલબ્ધ હતી, જે આવતી માતાઓની સંખ્યાની સરખામણીમાં અપૂરતી હતી. દર્દીઓની આ હાલાકીને ધ્યાને લઈને, મેડિકલ કોલેજ માન્ય સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયના ભાગરૂપે, 15 નવા બેડની વ્યવસ્થા સાથે એક નવો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જે પ્રસૂતા માતાઓને વધુ સારી સારવાર અને આરામદાયક વાતાવરણ પૂરું પાડશે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 3:23 pm

મોરબી નવયુગ પ્રિ સ્કૂલનો વાર્ષિક કાર્યક્રમ સંપન્ન:'તરંગ 4.0'માં બાળકો સાથે વાલીઓએ પણ ભાગ લીધો

મોરબીની નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ દ્વારા આયોજિત વાર્ષિક કાર્યક્રમ “તરંગ 4.0” મહેમાનો, માતા-પિતા તથા વાલીઓની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયો. આ કાર્યક્રમની મુખ્ય વિશેષતા એ રહી કે તેમાં માત્ર બાળકો જ નહીં, પરંતુ માતા-પિતાએ પણ સક્રિય રીતે ભાગ લીધો હતો. વાલીઓની ભાગીદારીથી સમગ્ર કાર્યક્રમમાં લાગણી અને પરિવારભાવનો સુંદર સમન્વય જોવા મળ્યો. બાળક અને વાલી એકસાથે મંચ પર દેખાતા ક્ષણો યાદગાર બની હતી. નાના બાળકો દ્વારા રજૂ કરાયેલા નૃત્ય, સંગીત અને અભિનય સાથે વાલીઓની હાજરી અને સહભાગિતાએ દર્શકો તરફથી ઉમળકાભરી તાલીઓ મેળવી. આ પ્રસંગે શાળાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ જણાવ્યું હતું કે, “જ્યારે માતા-પિતા શિક્ષણ પ્રક્રિયામાં સક્રિય ભાગીદાર બને છે, ત્યારે બાળકનો આત્મવિશ્વાસ અને વિકાસ અનેક ગણો વધે છે. 'તરંગ 4.0' એ બાળકો, વાલીઓ અને શિક્ષકો વચ્ચેના સુંદર સમન્વયને દર્શાવ્યો છે.” તેમણે સમગ્ર સ્ટાફની નિષ્ઠા અને ટીમવર્કની પ્રશંસા કરી. આ કાર્યક્રમમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયા, નવયુગ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રંજનબેન કાંજીયા, નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના મેનેજિંગ ટ્રસ્ટી બલદેવભાઈ સરસાવડિયા અને નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના અન્ય સદસ્યો વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 3:09 pm

પ્રભાસ પાટણમાં બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો:પોલીસે આરોપીને ઝડપી પાડ્યો, રૂ. 75,000ની કિંમતનું બાઇક કબ્જે

ગીર સોમનાથ પોલીસે પ્રભાસ પાટણ વિસ્તારમાં નોંધાયેલ મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 303(2) હેઠળ ગુનો નોંધાયો હતો. ફરિયાદીનું હોન્ડા કંપનીનું SP 125 સાઇન મોટરસાયકલ (રજી.નં. GJ-32-AD-0334) ચોરાઈ ગયું હતું. આ ગુનાની તપાસ માટે પ્રભાસ પાટણ પોલીસની સર્વેલન્સ ટીમે CCTV ફૂટેજ, હ્યુમન સોર્સિસ અને ટેક્નિકલ સર્વેલન્સનો ઉપયોગ કર્યો હતો. આ આધારે પોલીસે વેરાવળ, ગરીબ નવાજ કોલોનીના રહેવાસી ઇકબાલભાઈ ઇબ્રાહીમભાઈ પંજા નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી ચોરી કરાયેલ આશરે રૂ. 75,000/- ની કિંમતનું મોટરસાયકલ કબજે કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર. ગોસ્વામી અને એ.એસ.આઈ. હિતેષભાઈ નોંઘણભાઈ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 3:06 pm

જીવદયાપ્રેમી અને ગૌરક્ષકના હૃદય દ્રવી ઊઠે એવા દૃશ્યો:જામનગરની જી.જી. હોસ્પિટલમાં ગાયો બાયો વેસ્ટ ખાવા મજબૂર, તંત્રની ઘોર બેદરકારી

જામનગરની સૌરાષ્ટ્રની સૌથી મોટી જી.જી. હોસ્પિટલના બાયો વેસ્ટ નિકાલ વિસ્તારમાં ગાયો અને રખડતા ઢોર કચરો ખાતા જોવા મળ્યા છે. આ ઘટનાનો વીડિયો વાઈરલ થયો છે. જીવદયાપ્રેમી અને ગૌરક્ષકના હૃદય દ્રવી ઊઠે એવા દૃશ્યો સામે આવ્યા છે. જેથી લોકોમાં ફટકારની લાગણી છે હોસ્પિટલના બાયો વેસ્ટ કચરાના નિકાલ સ્થળે ફરજ પર કોઈ કર્મચારી હાજર ન હોવાથી આ પરિસ્થિતિ સર્જાઈ હતી. ખુલ્લામાં પડેલો બાયો વેસ્ટ ગાયો અને અન્ય ઢોર ખાઈ રહ્યા હતા. આ ઘટનાથી હોસ્પિટલ તંત્રની બેદરકારી સ્પષ્ટપણે સામે આવી છે, જે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. અગાઉ પણ જી.જી. હોસ્પિટલમાં રખડતા ઢોર અને શ્વાન હોસ્પિટલ પરિસરમાં ફરતા જોવા મળ્યા હતા, જેના કારણે સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા હતા. આ બીજી ઘટના છે જ્યાં બાયો મેડિકલ વેસ્ટ ખુલ્લામાં જોવા મળ્યો અને પ્રાણીઓ તેને ખાતા હતા.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 3:05 pm

બોટાદ જિલ્લા ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન:જિલ્લા કાર્યાલય ખાતે આગેવાનોએ અભિનંદન પાઠવ્યા

બોટાદ: બોટાદ જિલ્લા ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોનું જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આગેવાનોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. બોટાદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી અને ભાજપના વરિષ્ઠ આગેવાનો દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન સમારોહમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તાલુકા સ્તરના ભાજપ આગેવાનો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 2:59 pm

કોળી સમાજ નિર્દોષો પરના કેસ પાછા ખેંચવા માંગે છે:લાઠી, કોટડા, વિંછીયા, હડદડમાં થયેલા અન્યાય સામે આંદોલન કરશે

સમસ્ત કોળી સમાજ ગુજરાતે લાઠી, કોટડા, વિંછીયા અને હડદડમાં નિર્દોષ લોકો પર થયેલા અન્યાય સામે આંદોલન કરવાનો મોટો નિર્ણય લીધો છે. સમાજ નિર્દોષો પર થયેલા કેસ અને પાસા પાછા ખેંચવાની માંગ કરી રહ્યો છે. આ નિર્ણય અંતર્ગત, આગામી દિવસોમાં રાજ્યભરમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ સરકારને આવેદનપત્રો સુપરત કરવામાં આવશે. સામાજિક, રાજકીય અને ધાર્મિક આગેવાનો સરકાર સમક્ષ આ માંગણીઓ રજૂ કરશે. બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોળી સમાજના લોકોને આ આંદોલન અંગે માર્ગદર્શન આપવા માટે બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. બોટાદ જિલ્લા માંધાતા ગ્રુપના પ્રમુખ મયુર જમોડે એક વીડિયો દ્વારા આ માહિતી આપી હતી.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 2:57 pm

બોટાદની ગુરુકુલમ સ્કૂલમાં વિજ્ઞાન મેળાનું આયોજન:વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રોજેક્ટ્સ રજૂ કરાયા

બોટાદની ગુરુકુલમ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 31જાન્યુઆરી, 2026ના રોજ સાંજે ૫ વાગ્યે વિજ્ઞાન મેળાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી આ મેળામાં અનેક રચનાત્મક અને નવતર વિચારો સાથેના પ્રોજેક્ટ્સ રજૂ કરાયા હતા. વિદ્યાર્થીઓએ સોલાર ઊર્જા આધારિત પ્રોજેક્ટ્સ, હાઇડ્રોલિક સિસ્ટમના મોડેલ્સ, વોટર મેનેજમેન્ટ સંબંધિત પ્રોજેક્ટ્સ તેમજ ગણિત અને વિજ્ઞાનને સમજાવતી વિવિધ પ્રકારની શૈક્ષણિક રમતો તૈયાર કરી હતી. આજના ડિજિટલ યુગને ધ્યાનમાં રાખીને, વિદ્યાર્થીઓએ સાયબર સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવતા પ્રોજેક્ટ્સ પણ રજૂ કર્યા હતા. આ પ્રોજેક્ટ્સમાં ઇન્ટરનેટનો સલામત ઉપયોગ, ઓનલાઇન છેતરપિંડીથી બચાવ અને ડેટા સુરક્ષા અંગેની મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. આ વિજ્ઞાન મેળામાં ઉપસ્થિત વાલીઓએ વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સ નિહાળી તેમને ખૂબ જ ઉત્સાહ અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. શાળાના ટ્રસ્ટીઓ અને સમર્પિત શિક્ષક ગણની ઉપસ્થિતિ તથા માર્ગદર્શનથી આ કાર્યક્રમ વધુ સફળ અને પ્રેરણાદાયી બન્યો હતો. વાલીઓએ શાળા દ્વારા લેવામાં આવેલી આ શૈક્ષણિક પહેલની પ્રશંસા કરી હતી. આ સમગ્ર કાર્યક્રમ શાળા પરિવાર માટે ગૌરવની ક્ષણ બની રહ્યો અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક તથા સામાજિક જાગૃતિનો અભિગમ વિકસાવવા માટે તે મહત્વપૂર્ણ સાબિત થયો.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 2:56 pm

ગીરસોમનાથ પોલીસે રૂ. 18.80 લાખનો દારૂનો નાશ કર્યો:કોડીનારના 151 ગુનામાં જપ્ત મુદ્દામાલનો ન્યાયિક હુકમથી નિકાલ

ગીરસોમનાથ પોલીસે નશાબંધી કાયદાના કડક અમલ હેઠળ કોડીનાર વિસ્તારમાં રૂ. 18.80 લાખથી વધુનો ઇંગ્લીશ દારૂનો જથ્થો નાશ કર્યો છે. આ કાર્યવાહી વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા દારૂના મુદ્દામાલના ન્યાયિક નિકાલનો ભાગ હતી. જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાની સૂચના મુજબ, પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા નશીલા પદાર્થોનો સમયાંતરે નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આ અંતર્ગત, કોડીનાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. વણારકાએ જરૂરી ન્યાયિક પરવાનગી મેળવી હતી. નામદાર એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ, કોડીનારના હુકમ અનુસાર, કોડીનાર સુગર ફેક્ટરી ગ્રાઉન્ડ ખાતે આ દારૂનો નાશ કરવામાં આવ્યો. તા. 09/02/2025 થી તા. 08/01/2026 દરમિયાન નોંધાયેલા કુલ 151 ગુનાઓમાં જપ્ત કરાયેલો આ દારૂનો જથ્થો હતો. આ નાશ પ્રક્રિયા સમયે પ્રોહિબિશન કમિટીના સભ્યો, નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌઘરી, મામલતદાર કોડીનાર, નશાબંધી અધિકારી જુનાગઢ, પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. વણારકા અને કોડીનાર સર્વેલન્સ સ્કોડના એ.એસ.આઇ. પ્રદિપસિંહ સહિતનો પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. સરકારી પંચોની હાજરીમાં સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી હતી. ગીરસોમનાથ પોલીસની આ કાર્યવાહી નશાબંધી કાયદાના કડક અમલ અને ગેરકાયદે દારૂના વેપાર પર અંકુશ લાવવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 2:56 pm

રિક્ષા પલટી જતા 4 મુસાફરો ઉછળીને રસ્તા પર પટકાયા, CCTV:લોકોએ રિક્ષા સીધી કરી મુસાફરોને કાઢ્યા, વડોદરા-પાદરા રોડ પરનો બનાવ

વડોદરા પાસે બાંકો કંપનીના મુખ્ય ગેટ પાસે એક ઓટો રિક્ષાને પલટી ખાઈ ગઈ હતી. જેને પગલે રિક્ષામાં બેઠેલા 3થી 4 લોકો નીચે પટકાયા હતા. જેને પગલે આસપાસના લોકો દોડી ગયા હતા અને બચાવ કામગીરી કરી હતી. આ સમયે ઘટના સ્થળે પોલીસ પણ દોડી ગઈ હતી. રિક્ષા પલટી જતા ચાર લોકો ઉછળીને રસ્તા પર પટકાયાવડોદરા - પાદરા રોડ પર આવેલ બાંકો કંપની પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલી રીક્ષા અચાનક પલટી ખાઈ ગઈ હતી અને કારમાંથી 3થી 4 લોકો ઉછળીને નીચે પટકાયા હતા. આ તમામ વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. સદભાગ્યે આ ઘટનામાં કોઈનું મોત થયું નથી. અકસ્માત થતાં જ આસપાસના લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને બાંકો કંપનીના કર્મચારીઓ અને સ્થાનિકોએ મળીને તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે ઈજાગ્રસ્તોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. લોકોએ રિક્ષાને સીધી કરી મુસાફરોને બહાર કાઢ્યાઆ ઘટના કંપનીની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેમાં રીક્ષા પલટી ખાતી સ્પષ્ઠ જોવા મળી રહી છે. જેમાં રિક્ષામાંથી લોકો પટકાઈને નીચે પડે છે. અદ્રશ્ય જોતા જ આસપાસના લોકો દોડી ગયા હતા અને પલટી ખાઈ ગયેલી રીક્ષાને સીધી કરી હતી.અકસ્માત વડોદરા પાદરા રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. જોકે પોલીસે વાહન વ્યવહારને પૂર્વવત કર્યો હતો. અટલાદરા પોલીસ સ્ટેશનના પીઆઇએમ આર સંગાડાએ જણાવ્યું હતું કે, ઘટનાનો વીડિયો વાયરલ થતા અમે CCTVના આધારે તપાસ શરૂ કરી છે. જોકે આ મામલે પોલીસ સ્ટેશનમાં હજુ સુધી કોઈ વર્ધી મળી નથી.ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર અને જિલ્લામાં વાહન ચાલકો બેફામ રીતે વાહન ચલાવીને પોતાના અને બીજા લોકોના જીવ જોખમમાં મૂકે છે. અવારનવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. રોજ રોજ અકસ્માતોની ઘટનાઓ સામે આવે છે. ઘણી ઘટનાઓમાં લોકો પોતાના જીવ પણ ગુમાવે છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 2:53 pm

ગોધરા-વડોદરા હાઈવે પર ગેરકાયદેસર કટ બંધ કરાયા:અકસ્માત ઘટાડવા ટોલ પ્લાઝા ઓથોરિટીની કાર્યવાહી

ગોધરા-વડોદરા નેશનલ હાઈવે પર અકસ્માતો ઘટાડવા માટે ગેરકાયદેસર રીતે પાડવામાં આવેલા ડિવાઈડર કટ બંધ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ટોલ પ્લાઝા ઓથોરિટી દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. હાઈવે પરના હોટલ અને પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા આર્થિક લાભ મેળવવા માટે રોડ વચ્ચેના ડિવાઈડર તોડીને ગેરકાયદેસર રસ્તા બનાવવામાં આવ્યા હતા. આ ગેરકાયદેસર કટને કારણે અવારનવાર જીવલેણ અકસ્માતો સર્જાતા હતા. સંબંધિત ટોલ પ્લાઝા ઓથોરિટી દ્વારા હાઈવે પરના આવા તમામ જોખમી કટને બંધ કરવાની કામગીરી ચાલી રહી છે. નેશનલ હાઈવે ઓથોરિટીએ જણાવ્યું છે કે જો આ કટ ફરી કોઈ વ્યક્તિઓ દ્વારા તોડવામાં આવશે, તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ જોખમી કટ બંધ થવાથી જીવલેણ અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો થશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો, ખાસ કરીને બાઈકચાલકો, આવા શોર્ટકટ રસ્તાઓનો ઉપયોગ કરતા હોય છે, જે તેમના માટે અત્યંત જોખમી અને જીવલેણ સાબિત થાય છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 2:51 pm

વ્યાજખોરોએ વેપારીના પરિવારનું અપહરણ કરી મિલકત બરોબર વેચી દીધી:હેમાંગ શાહે 2.50 કરોડની સામે 4.77 કરોડ આપ્યા છતાં વધુ પૈસા માગી ધમકી આપી

અમદાવાદના ગુરુકુળ રોડ પર રહેતા વેપારીએ એક શખ્સ પાસેથી 2.50 કરોડ વ્યાજે લીધા હતા, જેની સામે વેપારીએ 4.77 કરોડ વ્યાજ સહિત ચૂકવી લીધા હતા. વેપારીએ આટલી રકમ ચૂકવી છતાં વ્યાજખોરોએ વેપારીના પરિવારનું અપહરણ કરીને વેપારીની સંપતિ પચાવીને બરોબર વેચી દીધી હતી. આ અંગે વેપારીએ બે શખસ સામે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી છે. આરોપીએ 4 મહિનાનું દોઢ ટકા વ્યાજ કાપી પૈસા આપ્યાંગુરુકુળ રોડ ઉપર રહેતા હેમાંગભાઈ શાહ બિલ્ડિંગ મટિરિયલનો વેપાર ધંધો અને જમીનનું કામ કરે છે. હેમાંગભાઈનો ઓમ પ્રકાશ પંજાબી સાથે સંપર્ક થયો હતો. ઓમ પ્રકાશે હેમાંગભાઈને ધંધામાં પૈસાની જરૂર હોય તો ધિરાણથી આપવા માટે જણાવ્યું હતું. હેમાંગભાઈએ પૈસાની જરૂર હોવાથી ઓમ પ્રકાશનો સંપર્ક કર્યો, ત્યારે ઓમ પ્રકાશે જીની અસીજા નામના વ્યક્તિનો સંપર્ક કરાવ્યો હતો. ઓમ પ્રકાશએ જીમીનો સંપર્ક વેપારી તરીકે કરાવ્યો હતો. જીમીએ હેમાંગભાઈને 2.50 કરોડ રૂપિયા દોઢ ટકાના વ્યાજે આપ્યા હતા, જેમાં શરૂઆતમાં ચાર મહિનાનું વ્યાજ કાપીને 2.35 કરોડ રૂપિયા આપ્યા હતા. પરિવારનું અપહરણ કરી ધમકી આપીપૈસા આપીને સામે હેમાંગભાઈ પાસેથી સિક્યુરિટી પેટે મિલકતનો દસ્તાવેજ લીધો હતો. હેમંતભાઈએ પૈસા પરત આપવાનું ચાલુ કર્યું ત્યારે જીમીએ વ્યાજ અને પેનલ્ટીની રકમ ગણાવી વધુ પૈસાની માંગણી કરી હતી. જીમીએ હેમાંગભાઈના પરિવારનું અપહરણ કરાવી હાથ પગ તોડી નાખવાની ધમકી પણ આપી હતી. હેમાંગભાઈ પાસેથી 2.50 સામે 4.77 કરોડ લીધા બાદ તેમની વિરમગામ વાળી મિલકતનો દસ્તાવેજ પણ પોતાના નામે કરાવ્યો હતો. છતાં જીમીએ હેમાંગભાઈની એક મિલકત તેમની મંજૂરી વિના બારોબાર અન્ય વ્યક્તિને વેચી દીધી હતી. આ અંગે હેમાંગભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 2:46 pm

બોટાદમાં 6 બાળકોને ₹3000 માસિક સહાય મંજૂર:જિલ્લામાં કુલ 341 બાળકો પાલક માતા-પિતા યોજનાનો લાભ

બોટાદ જિલ્લામાં કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા છ બાળકોને પાલક માતા-પિતા યોજના હેઠળ માસિક ₹3000ની સહાય મંજૂર કરવામાં આવી છે. સમાજ સુરક્ષા અધિકારી એ.કે. ભટ્ટની અધ્યક્ષતામાં યોજાયેલી સ્પોન્સરશીપ એન્ડ ફોસ્ટર કેર એપ્રુવલ કમિટી (SFCAC)ની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. જિલ્લા કલેક્ટર જીન્સી રોયના માર્ગદર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા આવા બાળકો માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. આ બેઠકમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની પાલક માતા-પિતા યોજના હેઠળ મળેલી કુલ છ અરજીઓ અને તેના તપાસ અહેવાલોની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી એસ.એલ. ડવની દેખરેખ હેઠળ એકમના સામાજિક કાર્યકર અને આઉટરીચ વર્કર દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વે દરમિયાન માલણપુર ગામમાંથી બે, રેફડા ગામમાંથી બે અને રતનવાવ ગામમાંથી બે, એમ કુલ છ બાળકોને કાળજી અને રક્ષણની જરૂરિયાત હોવાનું જણાયું હતું. આ તમામ બાળકોને સરકારી પાલક માતા-પિતા યોજના અંતર્ગત લાભ મળવાપાત્ર હોવાથી તેમની અરજીઓ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. કમિટી દ્વારા સર્વસંમતિથી અરજીઓ મંજૂર કરાતાં, દરેક બાળકને માસિક ₹3000ની સહાયથી લાભાન્વિત કરવામાં આવ્યા છે. આ બેઠકમાં બાળ કલ્યાણ સમિતિના ચેરમેન વિરેન્દ્રસિંહ મોરી, ચીફ પ્રોબેશન ઓફિસર ડી.કે. જાડેજા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી એસ.એલ. ડવ, સુરક્ષા અધિકારી જી.આર. મેર અને જે.જી. કારેલીયા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પાલક માતા-પિતા યોજના હેઠળ 0 થી 18 વર્ષના અનાથ અથવા જરૂરિયાતમંદ અભ્યાસ કરતા બાળકોને શિક્ષણ અને ભરણપોષણ માટે માસિક ₹3000ની સહાય આપવામાં આવે છે. હાલ બોટાદ જિલ્લામાં કુલ 341 બાળકો આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 2:46 pm

પાટડીમાં રૂ. 11.66 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત:મીઠાગોઢામાં સી.સી. રોડ, બુબાણામાં ગવાણા-પાનવા રોડનું ભૂમિપૂજન

પાટડી તાલુકામાં આજે રૂ. 11.66 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં મીઠાગોઢા અને બુબાણા ગામમાં માર્ગ નિર્માણના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. મીઠાગોઢા ગામે રૂ. 52.56 લાખના ખર્ચે 'કન્સ્ટ્રક્શન ઓફ સુવિધા પથ સી.સી. રોડ'નું ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે પાટડી તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઠાકોર, પંકજભાઈ પટેલ, પ્રકાશભાઈ ડોડીયા, પરબતભાઇ રબારી, નાનજીભાઈ, ગામના સરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે બુબાણા ગામે રૂ. 11.14 કરોડના ખર્ચે 'રિસર્ફેસિંગ ઓફ ગવાણા - બુબાણા - પાનવા રોડ'નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પાટડી તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઠાકોર, પંકજભાઈ પટેલ, તાલુકા સદસ્ય મોહનભાઈ, હસુભાઈ પાવરા, પ્રકાશભાઈ ડોડીયા, ગામના સરપંચ, અન્ય આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 2:45 pm

જામનગરમાં રિવાબાની બેટિંગ:રાજ્યમંત્રીએ ટોસ ઉછળી 'બહાદુર કોઠારી કપ'નો પ્રારંભ કરાવ્યો, રવિન્દ્ર જાડેજા રમતો એ અજીતસિંહ ગ્રાઉન્ડ પર ટુર્નામેન્ટ

જામનગરના ઐતિહાસિક અજીતસિંહ ક્રિકેટ પવેલિયન ગ્રાઉન્ડ ખાતે બહાદુર કોઠારી કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. રાજ્યમંત્રી રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આયોજન જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન અને જામનગર જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. મંત્રી રિવાબા જાડેજાએ બેટિંગ કરીને મેચની શરૂઆત કરાવી હતી. આ ટુર્નામેન્ટ બહાદુરભાઈ કોઠારીની સ્મૃતિને જીવંત રાખવા માટે પ્રથમ ઓલ કેટેગરીની સીઝન બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ તરીકે યોજાઈ રહી છે. નોંધનીય છે કે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પણ આ જ ઐતિહાસિક ગ્રાઉન્ડ પરથી પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. બહાદુરભાઈ કોઠારી કપની આ ટુર્નામેન્ટમાં કુલ 23 ટીમો ભાગ લઈ રહી છે, જેમાં અન્ય જિલ્લાઓના ખેલાડીઓ પણ જામનગર રમવા આવશે. આ ટુર્નામેન્ટ અંદાજે બે મહિનાથી વધુ સમય સુધી ચાલશે. આ સીઝન ટુર્નામેન્ટમાં અન્ડર-12, અન્ડર-14, અન્ડર-16, અન્ડર-19 અને ઓપન એજ કેટેગરીમાં મેચો યોજાશે. સમગ્ર ભારતમાં પ્રથમ વખત આટલી વિવિધ કેટેગરીમાં ટુર્નામેન્ટ રમાડવામાં આવી રહી છે. આ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત મહિલા ટીમોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે લીગ મેચ રમશે. જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનના સભ્યોએ જણાવ્યું હતું કે દરેક મેચ 20 ઓવરની રહેશે અને હાલના આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ રમાડવામાં આવશે. સુચારુ આયોજન હેઠળ દરરોજ બે મેચ રમાડવામાં આવશે, જ્યારે સોમવાર અને મંગળવારના રોજ કોઈ મેચ યોજાશે નહીં.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 2:45 pm

રાજ્યના 34 જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનશે:MSMEથી લઈ સેમિકન્ડક્ટરમાં સિક્કો પડશે; જાણો કેન્દ્રીય બજેટથી ગુજરાતને શું ફાયદો?

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે 1 ફેબ્રુઆરી, 2026એ બજેટ રજૂ કર્યું. નાણામંત્રીના 85 મિનિટના ભાષણમાં સામાન્ય માણસ માટે કોઈ મોટી જાહેરાત થઈ ન હતી. જોકે, ટેક્સ ફાઇલ કરવામાં સરળતા, રેલવે પ્રોજેક્ટ અને આયુર્વેદિક AIIMS જેવી નવી વાતો કહેવામાં આવી છે. ત્યારે ગુજરાતને આ બજેટથી અનેક ફાયદા થવા જઈ રહ્યા છે. જેમાં રાજ્યના 34 જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનશે તો SME-MSME ગ્રોથ ફંડ માટે 10 હજાર કરોડની જાહેરાત અને સેમિકન્ડક્ટર મિશન ISM 2.0 લોન્ચની જાહેરાતથી ગુજરાતમાં MSMEથી લઈ સેમિકન્ડક્ટરમાં સિક્કો પડશે, તો આવો જાણીએ ગુજરાતનું ઔધોગિક જગત આ બજેટને કેવી રીતે જુએ છે અને તેનાથી ગુજરાતને શું ફાયદો? બજેટમાં સામાન્ય માણસો માટે રાહત નથી: સંદીપ એન્જિનિયરGCCIના પ્રેસિડેન્ટ સંદીપ એન્જિનિયરે જણાવ્યું કે ગ્લોબલ ચેલેન્જની વચ્ચે સમતોલ થઈને ચાલવું પડશે. ગ્લોબલ પરિસ્થિતિમાં ઇન્ફરસ્ટાચરને મહત્વ આપવું તે બજેટનો સંકેત છે. બજેટ આવકાર્ય છે, હાલની સ્થિતિમાં ઇકોનોમીને આગળ લઈ જશે. બજેટમાં સામાન્ય માણસો માટે રાહત નથી.આજની પરિસ્થિતિએ બેલેન્સ બજેટ છે. ‘TDSમાં ઘણી રાહત આપી છે’GCCIની અપેક્ષા પ્રમાણે ટેક્સેશનમાં સરળતાની માગ હતી. નવા એક્ટ પ્રમાણે સરળતા કરી છે. TDSમાં ઘણી રાહત આપી છે. કસ્ટમમાં પણ ઓટો સિસ્ટમ લાવી રહ્યા છે જેનાથી સરળતા આવશે. લોકલ ઈકોનોમીને ગ્લોબલ ચેલેન્જ વચ્ચે આ બજેટ ફાયદો કરાવશે. બાયોફાર્મા અને સેમીકન્ડક્ટર પર સૌથી વધુ ફોકસ:હિમાંશુ પટેલVCCIના વાઇસ પ્રેસિડેન્ટ હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, લોકો હંમેશા ઇનકમ ટેક્સની લિમિટ વધે તેવી આશા રાખતા હોય છે, પરંતુ આ બજેટમાં સરકારનો અભિગમ ટેક્સ લિમિટ વધારવા કરતાં લોકોની આવક (Income) કેવી રીતે વધે તેના પર વધુ રહ્યો છે. ગયા બજેટમાં પણ ટેક્સમાં ઘણી રાહતો આપવામાં આવી હતી. સરકારે ટેક્સ સિસ્ટમને વધુ સરળ બનાવવાનો પ્રયાસ કર્યો છે જેથી નાગરિકોને મુશ્કેલી ન પડે. ‘આર્થિક સુધારાનું બજેટ’તેઓએ કહ્યું કે, સરકારે 'સિંગલ વિન્ડો સિસ્ટમ' અને અન્ય વહીવટી સુધારાઓ દ્વારા વ્યાપાર કરવાની પ્રક્રિયાને સરળ બનાવી છે. VCCI અને સમગ્ર MSME પરિવાર તરફથી અમે આ બજેટને આવકારીએ છીએ. આ ખરેખર આર્થિક સુધારાનું બજેટ છે. તો આવો હવે જોઈએ આ બજેટમાં ગુજરાતને શું મળશે? મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહનદેશમાં વધી રહેલા કેન્સર, ડાયાબિટીસ અને ઓટો-ઇમ્યુન રોગોના વધતા જોખમ સામે લડવા માટે સરકારે 'બાયોફાર્મા શક્તિ' (Biopharma Shakti) યોજના જાહેર કરી છે, ત્યારે 'બાયોફાર્મા શક્તિ' (Biopharma Shakti) યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ડાયાબિટીસ, કેન્સર અને ઓટો-ઇમ્યુન જેવી ગંભીર બીમારીઓની દવાઓનું ભારતમાં જ સંશોધન અને ઉત્પાદન કરવાનો છે. આ યોજના માટે ફાળવવામાં આવેલી 10 હજાર કરોડ રૂપિયાની રકમનો મોટો હિસ્સો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (RD) માટે વાપરવામાં આવશે, જેથી ભારત નવીનતમ 'બાયોલોજિકલ' દવાઓ પોતે બનાવી શકે. જામનગરમાં WHO ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર બનાવાશેકેન્દ્ર સરકાર આ બજેટથી મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માંગે છે ત્યારે ગુજરાતને પણ આનો ફાયદો મળશે. જામનગરમાં WHO ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર બનાવવામાં આવશે. તો જિલ્લા હોસ્પિટલમાં ટ્રોમા-ઇમરજન્સી ક્ષમતા વધારાશે. અમદાવાદ જિલ્લો ફાર્મા કંપનીઓનું હબ છે. ત્યારે બજેટની જાહેરાતથી ચોક્કસથી ફાયદો થશે. ‘કેન્સર અને ડાયાબિટીસ સહિત રેર બીમારીઓની દવા સસ્તી થશે’17 કેન્સરની દવાઓ પરની આયાત ડ્યુટી હટાવાઈ છે અને 7 રેર બીમારીની દવાઓ પણ ડ્યુટી ફ્રી છે. જેના કારણે કેન્સર અને ડાયાબિટીસ સહિત રેર બીમારીઓની દવા સસ્તી થશે. સાથે જ 3 આયુર્વેદિક AIIMS ખોલવાની જાહેરાત કરાઈ છે અને મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે 5 મેડિકલ હબ પણ સ્થાપિત કરવામાં આવશે. ‘2025-26માં ડાયાબિટીસનું સૌથી વઘુ નિદાન થયું હોય તેવા રાજ્યમાં ગુજરાત મોખરે’ગુજરાતમાં ડાયાબિટીસ અને કેન્સરના કેસ અંગે રાજ્યસભામાં આપવામાં આવેલી માહિતી અનુસાર છેલ્લા ત્રણ વર્ષમાં 5.95 કરોડ સ્ક્રીનિંગ થયું છે અને તેમાંથી 47.66 લાખ દર્દીઓમાં ડાયાબિટીસનું નિદાન થયાનું સામે આવ્યું છે. 2025-26માં 1.73 કરોડ દર્દીઓમાં ડાયાબિટીસનું સ્ક્રીનિંગ કર્યા બાદ તેમાં 22.18 લાખમાં કેન્સરનું નિદાન થયેલું હતું. આમ, સ્ક્રીનિંગ થયું હોય તેમાંથી 12 ટકા દર્દીમાં ડાયાબિટીસનું નિદાન થયેલું છે. 2025-26માં ડાયાબિટીસનું સૌથી વઘુ નિદાન થયું હોય તેવા રાજ્યમાં ગુજરાત મોખરે છે. ‘સેમિકન્ડક્ટર મિશન ISM 2.0 લોન્ચ થશે’ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. આજના બજેટમાં આ વાત પ્રતિબિંબિત થઈ. કેન્દ્રીય બજેટ 2026 રજૂ કરતી વખતે, નાણામંત્રી નિર્મલા સીતારમણે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM)ના બીજા તબક્કાના લોન્ચની જાહેરાત કરી. તેમણે કહ્યું, ISM 1.0એ ભારતની સેમિકન્ડક્ટર ક્ષમતામાં વધારો કર્યો છે. તેના આધારે, અમે ISM 2.0 લોન્ચ કરીશું. તેનો ધ્યેય સાધનો અને સામગ્રીનું ઉત્પાદન કરવાનો, સંપૂર્ણપણે ભારતીય ડિઝાઇન કરેલ IP વિકસાવવાનો અને સપ્લાય ચેઇનને મજબૂત બનાવવાનો રહેશે. અમે નવી ટેકનોલોજી વિકસાવવા અને કુશળ કાર્યબળ બનાવવા માટે ઉદ્યોગ-આગેવાની હેઠળના સંશોધન અને તાલીમ કેન્દ્રો પર પણ ધ્યાન કેન્દ્રિત કરીશું. દેશમાં 5 મોટા સેમિકન્ડક્ટર પ્લાનને મંજૂરી, ગુજરાતના ફાળે 4 આવ્યા આ જાહેરાતથી ગુજરાતને મોટો ફાયદો થશે. વર્ષોથી ગુજરાત હીરા, કેમિકલ અને ફાર્મા સેક્ટરમાં હરણફાળ ગતિએ આગળ વધતું રહ્યું છે. ઉદ્યોગના હબ તરીકે ઓળખાતા આપણા ગુજરાતમાં સેમિકન્ડક્ટર બનાવતી કંપનીઓએ હવે રસ દાખવ્યો છે. અત્યાર સુધીમાં દેશમાં 5 મોટા સેમિકન્ડક્ટર પ્લાનને મંજૂરી મળી એમાં આસામને બાદ કરતાં 4 પ્રોજેક્ટ ગુજરાતના ફાળે આવ્યા છે.આગામી સમયમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ વિશ્વ સમક્ષ ગુજરાતની આગવી ઓળખ ઊભી કરશે. ‘ટેક્નોલોજી, રોજગારી, વેપાર તેમજ આસપાસના વિસ્તારના વિકાસ માટે મોટી તક’આજે વિકસિત થઈ રહેલી મોટાભાગની ટેક્નોલોજીમાં સેમિકન્ડક્ટરનો ખૂબ મોટો રોલ હોય છે. નાની-અમથી ચિપ બનાવવામાં આમ તો દાયકાઓથી તાઇવાનની કાબેલિયત છે, હવે વિકસિત દેશો પણ તેની જરૂરીયાતને સમજ્યા એટલે અમેરિકા, રશિયા, જાપાન સહિતના દેશોએ પણ પોતાને ત્યાં સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ સ્થાપવા માટે હોડ લગાવી છે. આવા સમયે ગુજરાતને ચાર-ચાર પ્રોજેક્ટ મળવા એ માત્ર ટેક્નોલોજી જ નહીં પરંતુ રોજગારી, વેપાર તેમજ આસપાસના વિસ્તારના વિકાસ માટે મોટી તક ગણી શકાય. SME-MSME ગ્રોથ ફંડ માટે 10 હજાર કરોડની જોગવાઈઆ જોગવાઈથી રાજકોટ-મોરબી સહિતના શહેરમાં ઔધોગિક વિકાસ થશે અને ત્યાંના ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. નાળિયેર, કાજુ અને કોકોના ઉત્પાદનને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા વિશેષ જોગવાઈબજેટમાં નાળિયેર, કાજુ અને કોકોના ઉત્પાદનને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. નાળિયેરની ખેતી કરતા રાજ્યોમાં જૂના અને ક્ષતિગ્રસ્ત વૃક્ષોને હટાવી નવી ઉચ્ચ ગુણવત્તાવાળી જાતોના વાવેતર માટે સહાય અપાશે. વર્ષ 2030 સુધીમાં ભારતીય કાજુ અને કોકોને 'પ્રીમિયમ ગ્લોબલ બ્રાન્ડ' બનાવવા માટે વિશેષ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે, જેથી ભારત આ ક્ષેત્રે આત્મનિર્ભર બની નિકાસ વધારી શકે. ગુજરાતમાં NH-51 હવે ‘નાળિયેર હાઈવે’સોમનાથ, જૂનાગઢ, વલસાડ અને ભાવનગરમાંથી પસાર થતો NH-51 હવે “નાળિયેર હાઈવે” બની ગયો છે. ખેતરોમાં લહેરાતાં વૃક્ષોથી લઈને ટ્રકોમાં ભરાયેલાં નાળિયેર સુધી. છેલ્લાં પાંચ વર્ષમાં અહીં નાળિયેરની ખેતી ઝડપથી વધી છે. લીલાં, કાચાં, હળવી મીઠાશ ધરાવતાં નાળિયેર હવે આ તટીય વિસ્તારની સૌથી વધુ કમાણી કરાવી આપતો પાક બની ગયો છે. ગુજરાત નાળિયેર ઉત્પાદનના દૃષ્ટિકોણે દેશમાં સાતમા ક્રમે2014-15માં 22,451 હેક્ટરથી વધીને 2024-25માં 28,197 હેક્ટર સુધી નાળિયેરની ખેતી વિસ્તાર લગભગ 26 ટકા વધ્યો છે. હાલમાં ગુજરાત દર વર્ષે 260.9 મિલિયન નાળિયેર ઉત્પન્ન કરે છે, જેમાંથી લગભગ 20 ટકા કાચી અવસ્થામાં તોડવામાં આવે છે. કુલ ઉત્પાદનના દૃષ્ટિકોણે રાજ્ય દેશમાં સાતમા ક્રમે છે, પરંતુ ઉત્તર ભારતમાં તેનું પૂરું પ્રભુત્વ છે. અહીં વેચાતા નાળિયેરમાં લગભગ 40 ટકા ગુજરાતમાંથી આવે છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 2:31 pm

ભાવનગરના અક્ષરપાર્કમાં આજે કોળી સમાજની ન્યાય સભા:150થી વધુ પોલીસ જવાન તૈનાત, મંત્રી પરસોત્તમભાઈ અને હીરા સોલંકી હાજરી નહીં આપે

બગદાણાના કોળી સમાજના યુવક નવનીત બાલધીયા પર થયેલા હુમલાના મામલે કોળી સમાજ દ્વારા આજે (1 ફ્રેબુઆરી) ભાવનગર શહેરના અક્ષરપાર્ક ખાતે ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમાજના આગેવાનોનું સન્માન કરવામાં આવશે. ત્યારે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ ન્યાય સભામાં મંત્રી પરસોત્તમભાઈ સોલંકી, રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ ગુજરાત કોળી સેનાના યુવા પ્રમુખ દિવ્યેશ સોલંકી હાજરી નહિ આપે, તેવી વિગતો સામે આવી રહી છે. આજરોજ કોળી-ઠાકોર સમાજની ન્યાય સભામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે અનુષંધાને ચુસ્ત પોલિસ બંદોબસ્ત ફાળવામાં આવ્યો છે. જેમાં 1 DYSP, 8 pi, 10 psi, 140 પોલીસ જવાનો ચુસ્ત બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. આજે અક્ષરપાર્કમાં ન્યાય સભાનું આયોજન બગદાણાના કોળી સમાજના યુવક નવનીત બાલધીયા પર હુમલો થયો હતો, તે સંદર્ભે કોળી સમાજ દ્વારા શહેરના અક્ષરપાર્ક ખાતે ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા દિવસથી ન્યાય સભાની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી, જેમાં સમાજના યુવા આગેવાનો દ્વારા શહેર તેમજ જિલ્લામાં અનેક મિટિંગો કરી લોકોને ન્યાય સભામાં જોડાવા આહવાન કરવામા આવ્યું છે. સાથે પ્રચાર-પ્રસાર માટે શહેરમાં ઠેર-ઠેર ન્યાય સભાના 200 જેટલા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. જયારે આ બાબતે ન્યાય સભામાં મોટી સંખ્યામાં શહેર તેમજ જિલ્લામાંથી લોકો આવશે, તેવું યુવા આગેવાનોનું અનુમાન છે. પરસોત્તમભાઇ અને હીરા સોલંકી ન્યાય સભામાં નહીં આવે?ત્યારે આ બાબતે ન્યાય સભાનું કોળી સમાજના યુવા આગેવાનો દ્વારા સમાજના તમામ આગેવાનોને આમત્રણ આપવામાં આવ્યું હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહતી મુજબ આજરોજ નવનીત બાલધીયાની મળનારી ન્યાય સભામાં મંત્રી પરસોત્તમભાઇ સોલંકી, મહુવાના પૂર્વ ધારાસભ્ય આર.સી.મકવાણા, રાજુલા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, ગુજરાત કોળી સેનાના યુવા પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકી સહિતના કોળી સમાજના કદાવર નેતા ઉપસ્થિત નહીં રહે, તે અહેવાલો મળી રહ્યા છે. શું આ કારણોસર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકશે નહીં?જ્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મંત્રી પરસોત્તમભાઈ સોલંકી ઉના હોવાથી કાર્યક્રમમાં ઉપસ્થિત નહિ રહે, સાથે તેમના પુત્ર ગુજરાત ગુજરાત કોળી સેનાના યુવા પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકી ફેમેલી પ્રોગ્રામ હોવાથી હાજર નહિ રહે અને રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ગાંધીનગર ખાતે અખિલ ભારતીય કોળી સામાજની કારોબારી બેઠક હોવાથી હાજર નહિ રહે, અને મહુવાના પૂર્વ ધારાસભ્ય આર.સી.મકવાણા જે લગ્ન પ્રસંગમાં હોવાથી હાજર નહિ રહે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 2:28 pm

દેશભરના 450થી વધુ દિલ જીતી લેતા કબૂતરો ભરૂચમાં:પ્રેમના પ્રતીકને વિજેતા જાહેર કરવા જર્મની સહિતના દેશના જજ, ભરૂચમાં ઓલ ઇન્ડિયા પીજન શોની બીજી સિઝન,

ભરૂચના ચાવજ વિસ્તારમાં આવેલા રંગૂન હોલ ખાતે બીજા 'ઓલ ઇન્ડિયા પીજન શો'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કબૂતર પાલકોને પ્રોત્સાહન આપવા અને આ ક્ષેત્રે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ અનોખા મેળામાં દેશના વિવિધ રાજ્યોમાંથી પક્ષી પ્રેમીઓ ઉમટી પડ્યા હતા. વિવિધ રાજ્યના દુર્લભ જાતિના કબૂતરઆ શોમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, તમિલનાડુ અને તેલંગાણા જેવા રાજ્યોના કબૂતર પાલકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રદર્શનમાં કુલ 14 અલગ-અલગ બ્રીડના અંદાજે 450 જેટલા આકર્ષક કબૂતરો રજૂ કરવામાં આવ્યા હતા. કઈ કઈ બ્રીડના કબૂતર આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ મૂલ્યાંકનપ્રદર્શનમાં રજૂ કરાયેલા કબૂતરોનું મૂલ્યાંકન આંતરરાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાતો દ્વારા કરવામાં આવ્યું હતું. પક્ષીઓની જાતિ, શારીરિક બંધારણ, પાંખોની રંગછટા, સુંદરતા અને તેમના સ્વાસ્થ્યના કડક માપદંડોને આધારે વિજેતાઓ નક્કી કરવામાં આવ્યા હતા. શ્રેષ્ઠ દેખાવ કરનારા કબૂતરોના માલિકોને પુરસ્કાર અને સન્માન પત્ર આપી નવાજવામાં આવ્યા હતા. નિષ્ણાતો દ્વારા માર્ગદર્શનમાત્ર પ્રદર્શન જ નહીં, પરંતુ આ પ્રસંગે આયોજકો દ્વારા કબૂતર પાલન વિશે શૈક્ષણિક સત્ર પણ યોજાયું હતું. જેમાં પક્ષીઓનો યોગ્ય આહાર, રસીકરણ, અને સ્વાસ્થ્ય સંભાળ અંગે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા પેઢીમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ જાગે અને પશુ-પક્ષી સંરક્ષણ માટે સામાજિક જવાબદારી વધે તેવો રહ્યો હતો. સ્થાનિક નગરજનો અને પક્ષી પ્રેમીઓની મોટી સંખ્યામાં હાજરી વચ્ચે આ આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. આયોજક સમિતિએ કાર્યક્રમની વ્યવસ્થા અને સંચાલન માટે સઘન પ્રયાસો કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 2:25 pm

પોકેટ કોપથી ચોરાયેલી ચાર બાઈક શોધી કઢાઈ:પાલનપુર પોલીસે પાલનપુર, વડગામ, અમદાવાદથી ચોરાયેલી બાઈક શોધી એક શખસને ઝડપી પાડ્યો

પાલનપુર તાલુકા પોલીસે પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી ચોરાયેલી ચાર મોટરસાયકલ શોધી કાઢી છે. આ બાઈકો પાલનપુર, વડગામ અને અમદાવાદ શહેરના રખિયાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાઈ હતી. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા સૂચના આપી હતી. આ સૂચનાના પગલે, પાલનપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડૉ. જે.જે. ગામીતના માર્ગદર્શન હેઠળ અને પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ધાંધલ્યાની રાહબરી હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન, પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે રામપુરા વડલા ખાતે એક શંકાસ્પદ મોટરસાયકલ ચાલકને રોક્યો હતો. પૂછપરછ કરતાં, તે વ્યક્તિ વાહન સંબંધિત કોઈ માન્ય દસ્તાવેજો રજૂ કરી શક્યો ન હતો. પોલીસે પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી વાહન સર્ચ કરતાં જાણવા મળ્યું કે આ મોટરસાયકલ એક મહિના પહેલા માણકા, તા. પાલનપુર ખાતેથી ચોરાઈ હતી અને તેની ફરિયાદ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. વધુ પૂછપરછમાં આરોપીએ અન્ય ત્રણ મોટરસાયકલ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પાસેથી કુલ ચાર મોટરસાયકલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 2:24 pm

7 દિવસ સુધી શુષ્ક વાતાવરણની આગાહી:એક ટ્રફ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો નથી. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં 12 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં મધ્ય મહારાષ્ટ્રથી દક્ષિણ હરિયાણા સુધી એક ટ્રફ સિસ્ટમ સક્રિય છે, જે સમુદ્ર સપાટીથી અંદાજે 0.9 કિમીની ઊંચાઈ પર સ્થિત છે. આ સિસ્ટમના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આંશિક વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. તાપમાનમાં 7 દિવસ કોઈ મોટો ફેરફાર નહિ થાયઆ ઉપરાંત, ઉત્તર પાકિસ્તાન ઉપર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે, પરંતુ તેની ગુજરાતના હવામાન પર કોઈ ખાસ અસર થવાની શક્યતા નથી. જ્યારે આગામી 7 દિવસની આગાહી મુજબ, સમગ્ર ગુજરાતમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે. લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ઘટાડો કે મહત્વપૂર્ણ ફેરફાર થવાની સંભાવના નથી. દરિયાકાંઠાના વિસ્તારો માટે હવામાન વિભાગે જણાવ્યું છે કે, હાલમાં માછીમારો માટે કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. જોકે, ઉત્તર અને ઉત્તર-પૂર્વીય પવનો 15થી 20 નોટની ઝડપે ફૂંકાવાની શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં મહાનગરોમાં નોંધાયેલું લઘુત્તમ તાપમાન રાજ્યના અન્ય શહેરોમાં નોંધાયેલું લઘુત્તમ તાપમાન

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 2:23 pm

અમરેલીમાં તમાકુ નિયંત્રણ: રૂ. 2,600 દંડ વસૂલાયો:COTPA-2003 હેઠળ 14 કેસ નોંધી કાર્યવાહી કરાઈ

અમરેલી ડિસ્ટ્રિક્ટ એન્ફોર્સમેન્ટ સ્ક્વોડ દ્વારા તમાકુ નિયંત્રણ અધિનિયમ – 2003 (COTPA-2003) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત કુલ 14 કેસ નોંધી રૂ. 2,600નો દંડ વસૂલવામાં આવ્યો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને નોડલ અધિકારી (તમાકુ નિયંત્રણ કાર્યક્રમ)ના નેતૃત્વ હેઠળ, જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શનથી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાં તમાકુ નિયંત્રણને વધુ અસરકારક બનાવવા માટે આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, માહિતી નિયામક કચેરી, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ, આર.ટી.ઓ. તથા સ્થાનિક સંસ્થાઓની સંયુક્ત ટીમે કામગીરી કરી હતી. આ ટીમે જાહેર સ્થળો પર ધુમ્રપાન કરનારાઓ, પ્રતિબંધિત સ્થળોએ તમાકુ ઉત્પાદનોનું વેચાણ કરનારાઓ અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, તમાકુ ઉત્પાદનોના પેકેટ પર કાયદેસર ચેતવણીનો અભાવ, શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓની 100 ગજની અંદર તમાકુનું વેચાણ, તેમજ જાહેર સ્થળોએ ધુમ્રપાન જેવા ગુનાઓ સામેલ હતા. COTPA-2003ની વિવિધ કલમો હેઠળ આ ગુનાઓ બદલ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. વસૂલવામાં આવેલી દંડની રકમ સરકારી ખાતામાં જમા કરાવવામાં આવી છે. આ કાર્યવાહી અમરેલી શહેરના નાગનાથ બસસ્ટેન્ડ, લાઠી રોડ, કોલેજ સર્કલ, માર્કેટીંગ યાર્ડ, સ્ટેશન રોડ અને બાયપાસ વિસ્તારમાં હાથ ધરવામાં આવી હતી. કુલ 59 વિક્રેતાઓને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું હતું, જેના પરિણામે COTPA-2003ના નિયમોના ભંગ બદલ 14 કેસ નોંધાયા અને રૂ. 2,600નો દંડ વસૂલવામાં આવ્યો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જનતાને તમાકુના ઉપયોગથી થતી ગંભીર આરોગ્ય હાનિને ધ્યાનમાં રાખી, જાહેર આરોગ્યના હિતમાં તમાકુથી દૂર રહેવા અને કાયદાનું પાલન કરવા અપીલ કરી છે. તેમણે તમામ વેપારીઓ અને નાગરિકોને તમાકુ નિયંત્રણ અધિનિયમ–2003ના નિયમોનું કડક પાલન કરવા પણ અનુરોધ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 2:20 pm

ગૌરક્ષક ટીમે 40થી વધુ ગાયોને રેડિયમ પટ્ટી લગાવી:જાહેર માર્ગો પર રાત્રીના અકસ્માતો ઘટાડવા વિશ્વ હિન્દુ પરિષદની પહેલ

અમરેલીમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ની ગૌરક્ષક ટીમે જાહેર માર્ગો પર 40થી વધુ રખડતી ગાયોને રેડિયમ પટ્ટી લગાવી છે. રાત્રીના સમયે થતા અકસ્માતો ઘટાડવા અને પશુઓ તેમજ વાહનચાલકોના જીવ બચાવવાના ઉદ્દેશ્યથી આ પહેલ કરવામાં આવી છે. જિલ્લામાં રાત્રીના સમયે રખડતા પશુઓને કારણે માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. વાહનોની અડફેટે આવવાથી પશુઓના જીવ જાય છે અને નિર્દોષ વાહનચાલકોને પણ ગંભીર ઈજાઓ થાય છે, કેટલીકવાર જીવ પણ ગુમાવવો પડે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, VHPની ગૌરક્ષક ટીમના સભ્યોએ મોડી રાત્રે રેડિયમ બેલ્ટ સાથે વિવિધ માર્ગો પર ગાયોને પટ્ટીઓ લગાવી હતી. રેડિયમ પટ્ટીઓ રાત્રીના અંધારામાં વાહનચાલકોને ગાયોની હાજરી વિશે જાગૃત કરશે, જેથી અકસ્માતો ટાળી શકાય. ખાસ કરીને રાજુલા-સાવરકુંડલા હાઈવે જેવા માર્ગો પર રાત્રીના અને સવારના સમયે પશુઓનો અડ્ડો જોવા મળે છે, જેના કારણે અકસ્માતનો ખતરો વધી જાય છે. અગાઉ ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર પણ આવા અકસ્માતોમાં અનેક વાહનચાલકોએ જીવ ગુમાવ્યા હોવાના કિસ્સા બન્યા છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 2:17 pm

ગુજરાતને નેશનલ હેન્ડબોલમાં ગોલ્ડ મેડલ:69મી SGFI અંડર-19 ભાઈઓની સ્પર્ધામાં ટીમે જીત મેળવી

ગુજરાત રાજ્યે 69મી શાળાકીય રમત (SGFI) 2025 નેશનલ કક્ષાની અંડર-19 ભાઈઓની હેન્ડબોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ જીત સાથે રાજ્યે રાષ્ટ્રીય સ્તરે પોતાનો દબદબો ફરી સ્થાપિત કર્યો છે. આ સ્પર્ધા સોમનાથ ખાતે 27 થી 31 દરમિયાન યોજાઈ હતી. જેમાં સમગ્ર ગુજરાત રાજ્યની ટીમે ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. ગુજરાત હેન્ડબોલ ટીમમાં આદર્શ વિદ્યાલય, બોટાદના બે ખેલાડીઓ - હાંડા હર્ષદ અને ભમ્મર જયદીપ - એ રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમનું પ્રદર્શન નોંધપાત્ર રહ્યું હતું. આ ખેલાડીઓએ નેશનલ કક્ષાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને ગુજરાત રાજ્ય, બોટાદ જિલ્લા રમત વિકાસ અધિકારી અને સમગ્ર બોટાદ જિલ્લા માટે ગૌરવ અપાવ્યું છે. આદર્શ શૈક્ષણિક સંકુલ, બોટાદ વતી શાળાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રભુ સાહેબ અને આચાર્ય સંજયભાઈ ધાધલે વિજેતા ખેલાડીઓ તેમજ ડિસ્ટ્રિક્ટ કોચ કૌશિકભાઈ પટેલ અને હેન્ડબોલ ટ્રેનર નકુમ પાયલ સહિત DLSS ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને આગામી સ્પર્ધાઓ માટે શુભેચ્છાઓ આપી હતી.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 2:17 pm

કાર ચાલકની દાદાગીરી, પોલીસ કર્મીને મારમાર્યો-VIDEO:નો-પાર્કિંગમાં ટોઈંગ કરવા ગયેલા હેડ કોન્સ્ટેબલ સાથે બોલાચાલી કરી, સુરતમાં કારચાલક સામે ગુનો દાખલ

સુરત શહેરના ઉધના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉધનામાં આવેલા સિલિકોન શોપર્સ પાસે નો-પાર્કિંગમાં ઉભેલી કારને ટોઈંગ કરવાની કામગીરી કરી રહેલા ટ્રાફિક પોલીસ કર્મી પર કાર ચાલકે હુમલો કરી માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ગાડી ટોઈંગ કરતાં પોલીસકર્મી સાથે બબાલમળતી માહિતી મુજબ, ઉધનાના વ્યસ્ત એવા સિલિકોન શોપર્સ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા નો-પાર્કિંગમાં ઉભેલા વાહનો હટાવવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન એક ફોર-વ્હીલ કાર ખોટી રીતે પાર્ક થયેલી હોવાથી ટ્રાફિક પોલીસના જવાનો તેને ટોઈંગ કરી રહ્યા હતા. પોતાની ગાડી ટોઈંગ થતી જોઈ કાર ચાલક સુનિલ મિસ્ત્રી ઉશ્કેરાઈ ગયો હતો. તેણે પહેલા પોલીસ કર્મીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી અત્યંત અભદ્ર વર્તન કર્યું હતું. પોલીસ કર્મી પર હાથ ઉપાડ્યો, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલમામલો એટલો બિચક્યો હતો કે કારચાલકે કાયદાનો ડર રાખ્યા વિના ફરજ પરના પોલીસ કર્મી પર હાથ ઉપાડ્યો હતો અને તેમની સાથે ઝપાઝપી કરી માર માર્યો હતો. કાર ચાલકની આ ગુંડાગર્દી આસપાસ ઉભેલા લોકોએ પોતાના મોબાઈલ ફોનમાં કેદ કરી લીધી હતી. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે કાર ચાલક પોલીસ કર્મી સાથે ઘર્ષણ કરી રહ્યો છે. આ લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કાર ચાલક સામે ફરજ રૂકાવટનો ગુનો દાખલફરજ પર રુકાવટ અને હુમલાની આ ઘટના બાદ ભોગ બનનાર ટ્રાફિક પોલીસ કર્મી દ્વારા ઉધના પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે કાર ચાલક સુનિલ મિસ્ત્રી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. જાહેર માર્ગો પર વાહનો પાર્ક કરતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે અને ફરજ પરના અધિકારીઓ સાથે ગેરવર્તન કરવું એ ગંભીર ગુનો બને છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 2:00 pm

ગોધરા ભાજપ કાર્યાલયમાં બજેટ નિહાળવાનો કાર્યક્રમ:નિર્મલા સીતારામણ દ્વારા રજૂ કરાયેલ બજેટને શિક્ષણવિદોએ આશાસ્પદ ગણાવ્યું

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામણ દ્વારા સંસદમાં રજૂ કરાયેલ વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટને નિહાળવા માટે આજે ગોધરા સ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના સ્થાનિક આગેવાનો, ગોધરાના અગ્રણી વેપારીઓ અને કોમર્સ ક્ષેત્રના શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ બજેટનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. બજેટની જાહેરાતો બાદ, ઉપસ્થિત શિક્ષણવિદોએ પોતાની પ્રતિક્રિયા આપતા તેને મધ્યમ વર્ગ માટે આશાસ્પદ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, બજેટમાં ગંભીર બીમારીઓની દવાઓના ભાવ ઘટાડવા અને સોલાર પેનલ સસ્તી કરવાની જોગવાઈઓ મધ્યમ વર્ગના પરિવારો માટે આર્થિક રીતે લાભદાયી સાબિત થશે. ખાસ કરીને, સ્વાસ્થ્ય અને ઉર્જા ક્ષેત્રે અપાયેલી આ રાહતો સામાન્ય નાગરિકોના જીવનધોરણમાં સુધારો લાવશે તેવી આશા બુદ્ધિજીવીઓ અને વેપારી અગ્રણીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 1:55 pm

બોટાદ LCBએ વિદેશી દારૂનો જથ્થો પકડ્યો:બલેનો કારમાંથી 581બોટલ સાથે એક આરોપી ઝડપાયો

બોટાદ LCB પોલીસે મિલેટ્રી ચોકડી પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક બલેનો કારમાંથી ૫૮૧ બોટલ દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ભાવનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષકની સૂચના અને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ દારૂબંધીને નેસ્તનાબૂદ કરવા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. LCB બોટાદના પોલીસ ઇન્સ્પેક્ટર એ.જી. સોલંકીના સુપરવિઝન હેઠળ, એ.એસ.આઇ. રામદેવસિંહ દેવુભા મોરી અને એ.એસ.આઇ. મયુરસિંહ રામસિંહ ડોડીયાને મળેલી બાતમીના આધારે મિલેટ્રી ચોકડી ખાતે ખાનગી વોચ ગોઠવવામાં આવી હતી. વોચ દરમિયાન નાની વાવડીના રહેવાસી ભરતભાઈ ઉર્ફે ભુરો ધુડાભાઈ પાડલીયાને તેમની બલેનો કાર (નંબર GJ-06-LK-8688) સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. કારની તલાશી લેતા, ગેરકાયદેસર પાસ-પરમિટ વગરની ભારતીય બનાવટની વિવિધ બ્રાન્ડની ૫૮૧ સીલપેક બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. ૯૦,૭૯૦/- આંકવામાં આવી છે. પોલીસે ફોર વ્હીલ ગાડી સહિત કુલ રૂ. ૩,૯૦,૭૯૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 1:52 pm

મોરબી પોલીસે 62.63 લાખનો ખોવાયેલો મુદ્દામાલ પરત કર્યો:22 મોબાઈલ, સોનાના દાગીના 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ સોંપ્યા

મોરબી એ ડિવિઝન પોલીસે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત અરજદારોનો ખોવાયેલો રૂ. ૬૨.૬૩ લાખનો મુદ્દામાલ પરત કર્યો છે. આ મુદ્દામાલમાં ૨૨ મોબાઈલ ફોન અને સોનાના દાગીનાનો સમાવેશ થાય છે. પોલીસે ગુમ થયેલા ૨૨ મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા, જેની કિંમત રૂ. ૪,૧૩,૦૮૯ આંકવામાં આવી છે. આ ઉપરાંત, એક અરજદારનું રૂ. ૬ લાખનું સોનાનું પેન્ડલ, ચાર સોનાના બિસ્કીટ અને સોનાનો ચેન પણ પરત કરવામાં આવ્યા હતા. સોનાના દાગીનાની કુલ કિંમત રૂ. ૫૨,૫૦,૦૦૦ થાય છે. આ મુદ્દામાલ શોધવા માટે પોલીસે CEIR પોર્ટલનો ઉપયોગ કર્યો હતો. ગુમ થયેલા મોબાઈલ ફોન અને સોનાના દાગીના શોધી કાઢીને મૂળ માલિકોને સુપરત કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 1:51 pm

મોરબી લાયોનેસ ક્લબ દ્વારા 180 વિધવા બહેનોને સાડી વિતરણ:પૂર્વ પ્રમુખ પ્રીતિબેન દેસાઈના જન્મદિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા 180 વિધવા અને જરૂરિયાતમંદ બહેનોને સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ક્લબના પૂર્વ પ્રમુખ પ્રીતિ દેસાઈએ તેમના જન્મદિવસ, 29 જાન્યુઆરીના રોજ, આ કાયમી પ્રોજેક્ટ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ પ્રોજેક્ટ સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી દર વર્ષે યોજાય છે અને આ તેનો સતત નવમો વર્ષ હતો. પ્રીતિબેન દેસાઈના આર્થિક સહયોગથી આ કાયમી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે છે. તેઓ ઇન્ડિયન લાયોનેસ ક્લબના વિવિધ સેવાકીય કાર્યોમાં શરૂઆતથી જ મહત્વપૂર્ણ યોગદાન આપતા રહ્યા છે. આ પ્રસંગે સંસ્થાના પ્રેસિડેન્ટ ડોક્ટર સુષ્માબેન દુધરેજીયા, ફાઉન્ડર શોભનાબા ઝાલા, પાસ્ટ પ્રેસિડેન્ટ નયના બારા અને ઈમીડીયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચા સહિત સમગ્ર ટીમે પ્રીતિ દેસાઈને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 1:49 pm

ગોધરા 'શ્રી કમલમ' ખાતે કેન્દ્રીય બજેટનું જીવંત પ્રસારણ:ધારાસભ્ય સી.કે. રાઉલજી અને ભાજપના કાર્યકરોએ નિહાળ્યું

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે લોકસભામાં વર્ષ ૨૦૨૬-૨૭નું કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું. આ બજેટને લોકો સુધી પહોંચાડવા અને તેની વિગતો સમજવા માટે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગોધરા સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે મોટી સ્ક્રીન પર બજેટનું જીવંત પ્રસારણ નિહાળવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અને શહેરના વિવિધ હોદ્દેદારો પણ જોડાયા હતા. કાર્યક્રમમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, શક્તિકેન્દ્રના સંયોજકો તેમજ ભારતીય જનતા પાર્ટીના ઉત્સાહી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યકરોએ બજેટની જાહેરાતોને હર્ષોલ્લાસ સાથે વધાવી લીધી હતી. ધારાસભ્ય અને હોદ્દેદારોએ બજેટના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી તેને જનહિતલક્ષી ગણાવ્યું હતું. બજેટ નિહાળ્યા બાદ ઉપસ્થિત સૌ કાર્યકરોએ 'વિકસિત ભારત'ના સંકલ્પ સાથે સરકારની વિવિધ યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 1:48 pm

સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ દ્વારા ફિલ્ડ વિઝિટ યોજાઈ:કાંકણપુર પોલીસ સ્ટેશન ખાતે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ પણ કરાયો

પંચમહાલ જિલ્લા સુરક્ષા સોસાયટી અંતર્ગત કાંકણપુર પોલીસ સ્ટેશન અને રતનપુર (કાં) પ્રાથમિક/માધ્યમિક શાળાના સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ (SPC) દ્વારા એક ફિલ્ડ વિઝિટ અને ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં SPC બાળકોએ પોલીસ કાર્યપ્રણાલી અને ટ્રાફિક નિયમો વિશે જાણકારી મેળવી હતી. કાંકણપુર પોલીસ સ્ટેશનની ફિલ્ડ વિઝિટ દરમિયાન, કેડેટ્સને પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમને કેસ, જેલ, ગુના, ક્રાઈમ, પોસ્કો, લેબર ગુનાની કલમો, સજા, રાઈફલ, ગોળીઓ અને બોમ્બ જેવી બાબતો અંગે ઊંડાણપૂર્વક માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.આ ઉપરાંત, SPC કેડેટ્સે વિવિધ માર્ગો પર ફ્લેગ માર્ચ કરી હતી. પોલીસ સ્ટેશન બહાર વાહન ચેકિંગ ચેકપોસ્ટ પર વાહનચાલકોને લાલ ગુલાબ આપીને સીટબેલ્ટ બાંધવા, હેલ્મેટ પહેરીને વાહન ચલાવવા અને અન્ય ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન કાંકણપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.એલ. કામોલ , પીએસઆઈ પલાસ , રિઝર્વ ડી.આઈ. અશોક પરમાર, સુનિતા પરમાર અને દીપક પરમાર તેમજ અન્ય પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય ભરત પટેલ અને હર્ષવર્ધનસિંહ પુવારે પણ કાર્યક્રમમાં સહયોગ આપ્યો હતો.પી.આઈ. એસ.એલ. કામોલ અને શાળાના આચાર્યએ SPC બાળકોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે તમામ કાયદાઓનું પાલન કરવા, ભવિષ્યમાં સારા નાગરિક બની વ્યક્તિગત ઘડતર કરીને સમાજ, શાળા, ગામ, જિલ્લા અને દેશનું નામ રોશન કરવા અપીલ કરી હતી.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 1:30 pm

અમદાવાદ એરપોર્ટ પરથી 108.07 ગ્રામ સોના એક શખ્સ ઝડપાયો:મોઢામાં કાળા ટેપમાં લપેટીને 4 કેપ્સ્યુલ આકારના સોનાના બિસ્કિટ સંતાડ્યા હતા

અમદાવાદ એરપોર્ટ પરથી ફરી વાર સોનું ઝડપાયું છે. કસ્ટમ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે બેંગકોકથી અમદાવાદ આવી રહેલા સુનિલ ભાટીયાને 108.07 ગ્રામ સોના સાથે ઝડપ્યો છે. જેની બજાર કિંમત અંદાજે 17.19 લાખ થાય છે. મુસાફરે માઉથમાં કાળા ટેપમાં લપેટીને ચાર કેપ્સ્યુલ આકારના સોનાના બિસ્કિટ સંતાડ્યા હતા. બેંગકોકથી અમદાવાદ આવતી ફલાઈટમાં સોનાની દાણચોરીઅમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા સોનાની દાણચોરી કરતાં એક શખ્સને પકડ્યો છે. પેસેન્જર પ્રોફાઇલિંગ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે, ગત 31 જાન્યુઆરી 2026ના રોજ બેંગકોકથી અમદાવાદ આવતી વિયેટજેટ ફ્લાઇટ (VZ 750) દ્વારા ઉતરેલા મુસાફર સુનિલ ભાટિયાની અટકાયત કરવામાં આવી હતી. 17.39 લાખના સોનાના ચાર બિસ્કિટ જપ્તતપાસ દરમિયાન અધિકારીઓ ત્યારે ચોંકી ગયા જ્યારે મુસાફરના માઉથમાંથી કાળા ટેપમાં લપેટેલા ચાર કેપ્સ્યુલ આકારના સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. 108.07 ગ્રામ જપ્ત કરાયું છે. બજારમાં આ સોનાની અંદાજિત કિંમત ₹17,39,927 છે. કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ મુદ્દામાલ જપ્ત કરી વિભાગ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 1:27 pm

હિંમતનગરમાં પૂનમ નિમિત્તે મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના:હરસિદ્ધિ મંદિરે નવચંડી હવન, પંચદેવ મંદિરે આરતીનો લાભ

સાબરકાંઠા જિલ્લા સહિત હિંમતનગરમાં પૂનમ નિમિત્તે વિવિધ મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. હિંમતનગરના હરસિદ્ધિ માતાજીના મંદિરે નવચંડી હવનનો પ્રારંભ થયો હતો, જ્યારે પંચદેવ મંદિરે મોટી સંખ્યામાં ભક્તોએ આરતીનો લાભ લીધો હતો. હિંમતનગરના હરસિદ્ધિ માતાજીના મંદિરે પૂનમ નિમિત્તે વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. યજમાન પલ્કેશકુમાર જોઈતારામ પટેલના હસ્તે નવચંડી હવનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ હવનમાં ચેતનભાઈ કનૈયાલાલ રાવલ મુખ્ય યજમાન તરીકે બિરાજમાન થયા હતા. આ નવચંડી હવનની પૂર્ણાહુતિ સાંજે શ્રીફળ હોમ સાથે કરવામાં આવશે. બીજી તરફ, હિંમતનગરના મહાવીરનગર ચાર રસ્તે આવેલા પંચદેવ મંદિરે માઘ મહિનાની પૂનમને લઈને રવિવારે સવારે અંબા માતાજીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. પંચદેવ મંદિરે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ આરતીનો લાભ લીધો હતો અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 1:08 pm

બજેટ 2026, જામનગરમાં આયુષ પાર્ક, ધોળાવીરા હેરિટેજ સિટી:ગુજરાતમાં મહિલા હોસ્ટેલ, ફાર્મા-સેમીકન્ડક્ટર હબનો પણ વિકાસ

કેન્દ્રીય બજેટ 2026 અંગે રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ વલસાડ જિલ્લાના ધરમપુરની લાયબ્રેરી ખાતે ભાજપના અગ્રણીઓ સાથે બજેટ નિહાળ્યા બાદ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ બજેટ 'વિકસિત ભારત 2047' અને 'આત્મનિર્ભર ભારત'ના સંકલ્પને સાકાર કરનારું છે. આ બજેટમાં ખાસ કરીને ગુજરાતના વિકાસ માટે અનેક મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે, જેનાથી રાજ્યના આર્થિક અને સામાજિક માળખાને મોટો વેગ મળશે. બજેટમાં ગુજરાતને મળેલી મુખ્ય ભેટોમાં જામનગરમાં આયુષ પાર્કની સ્થાપનાનો સમાવેશ થાય છે, જેને કેન્દ્ર સરકાર તરફથી વિશેષ સહાય મળશે. આ પ્રોજેક્ટથી આયુર્વેદ અને નેચરોપેથી ક્ષેત્રે ગુજરાત વૈશ્વિક હબ બનશે. આ ઉપરાંત, કચ્છના ઐતિહાસિક ધોળાવીરાને હેરિટેજ સિટી તરીકે વિકસાવવાનું આયોજન છે, જેનાથી પ્રવાસન ક્ષેત્રે નવી તકો ઊભી થશે. મહિલા સશક્તિકરણની દિશામાં એક મોટા પગલા તરીકે, ગુજરાતના દરેક જિલ્લામાં મહિલાઓ માટે આધુનિક હોસ્ટેલ બનાવવામાં આવશે. ફાર્મા ક્ષેત્ર માટે જાહેર કરાયેલા રૂ. 10,000 કરોડના પેકેજનો મોટો લાભ ગુજરાતને મળશે, કારણ કે ગુજરાત ફાર્મા ઉદ્યોગમાં દેશમાં અગ્રેસર છે. સેમીકન્ડક્ટર ક્ષેત્રે પણ દેશના 5 સેમીકન્ડક્ટર પ્લાન્ટમાંથી 4 ગુજરાતમાં છે. બજેટમાં આ ક્ષેત્ર માટે રૂ. 46,000 કરોડની જોગવાઈ કરાતા ગુજરાત ગ્લોબલ ટેક હબ બનશે. રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, “આ બજેટ ખેડૂતો, યુવાનો, ગરીબો અને મહિલાઓ - આ ચાર સ્તંભોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. 25 કરોડ લોકો ગરીબીરેખાથી બહાર આવ્યા છે અને આ બજેટ વધુ લોકોને આર્થિક રીતે સક્ષમ બનાવશે.” વેપારીઓ અને ટેક્સ પેયર્સ માટે પણ રાહતની જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ' પર ભાર મુકતા વિદેશી પ્રવાસ પર લાગતા રૂ. 5 લાખના ટેક્સને ઘટાડીને રૂ. 2 લાખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, નાના કોન્ટ્રાક્ટરો માટે TDS નો દર ઘટાડીને 1% કરવામાં આવ્યો છે, જેનાથી વેપારીઓને રોકડ પ્રવાહમાં મોટી રાહત મળશે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 12:41 pm

મોરબીમાં ધમકી આપી ઢોર છોડાવવાનો મામલો:મનપાની ટીમ દ્વારા ફરી તે સ્થળેથી જ ઢોરને પકડીને ઢોરવાડામાં પૂરવામાં આવ્યું

મોરબીમાં મનપાની ઢોર પકડવાની ટીમે અગાઉ ધમકી આપીને છોડાવવામાં આવેલા ઢોરને તે જ સ્થળેથી ફરીથી પકડી પાડ્યું છે. આ કાર્યવાહી થોડા દિવસો પહેલા બનેલી ઘટના બાદ કરવામાં આવી છે, જેમાં બે શખ્સોએ ટીમને ધમકી આપીને પકડાયેલા ઢોરને છોડાવી દીધા હતા. ગત 9 જાન્યુઆરીના રોજ સવારે 9:45 વાગ્યાની આસપાસ મોરબીના ખાખરેચી દરવાજા પાસે મનપાની ટીમ રખડતા ઢોરને પકડવાની કામગીરી કરી રહી હતી. તે સમયે એક ગાયને પકડવામાં આવી હતી. આ દરમિયાન રાજુભાઈ દેવાભાઈ અને વિજયભાઈ રાતડીયા નામના બે શખ્સો ત્યાં આવ્યા હતા. તેમણે મનપાના કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ સાથે બોલાચાલી કરી, અપશબ્દો બોલી અને પકડાયેલી ગાયને છોડાવી દીધી હતી. આ શખ્સોએ કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બનાવ અંગે મનપાના કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી વિપુલભાઈ લખમણભાઈ છૈયા (ઉંમર 29) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાજુભાઈ દેવાભાઈ અને વિજયભાઈ રાતડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદ નોંધાયા બાદ, મનપાની ઢોર પકડવાની ટીમે ફરીથી કાર્યવાહી કરી. જે સ્થળેથી ધમકી આપીને ઢોરને છોડાવવામાં આવ્યું હતું, તે જ ખાખરેચી દરવાજા પાસે જઈને ટીમે તે ઢોરને ફરીથી પકડીને ઢોરવાડામાં પૂરવાની કામગીરી કરી હતી.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 12:37 pm

અમદાવાદમાં સંત રવિદાસની 649મી જન્મજયંતીની ઉજવણી:સામાજિક સમરસતાના પ્રતીક સમી શોભાયાત્રા આશ્રમ રોડથી શાહીબાગ સુધી યોજાઈ

અમદાવાદમાં સંત રવિદાસની 649મી જન્મજયંતી ઉજવાઈ અમદાવાદમાં મધ્યકાલીન યુગના મહાન સંત અને 'બેગમપુરા'ના સ્વપ્નદ્રષ્ટા સંત શિરોમણી રવિદાસ મહારાજની 649મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રવિદાસ વિશ્વમહાપીઠ ગુજરાતના પ્રમુખ વિક્રમભાઈ ચૌહાણે જણાવ્યું કે, છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં આ ઉત્સવ ખૂબ જ સન્માનપૂર્વક ઉજવાય છે. મહાનુભાવોની ઉપસ્થિતિ અને શોભાયાત્રાનું પ્રસ્થાન આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ આલોકકુમાર, જગદીશભાઈ વિશ્વકર્મા, આત્મારામભાઈ પરમાર, જીતુભાઈ વાઘેલા, પ્રદિપભાઈ પરમાર તથા મંત્રી મનીષાબેન વકીલ અને દર્શનાબેન વાઘેલા સહિત અનેક ધારાસભ્યો અને IAS અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ સંત રવિદાસને પુષ્પાંજલિ અર્પણ કરી આરતી ઉતાર્યા બાદ લીલી ઝંડી બતાવી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. સમાજની સુખાકારી માટે ભવ્ય આયોજન વિક્રમભાઈ ચૌહાણે આ યાત્રાને સમાજની ઉત્કૃષ્ઠતા અને સર્વે જ્ઞાતિની સુખાકારી માટેની યાત્રા ગણાવી હતી. આ શોભાયાત્રા આશ્રમ રોડથી શરૂ થઈ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 12:24 pm

જામનગરમાં નેપાળી હોટલ બોયની શંકાસ્પદ હાલતમાં લાશ મળી:હિમાલય સોસાયટીમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળતા પોલીસ તપાસ શરૂ

જામનગરમાં હિમાલય સોસાયટી વિસ્તારમાંથી એક નેપાળી હોટલ બોયનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં અને શંકાસ્પદ રીતે મળી આવ્યો છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આ મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. મૃતક યુવકની ઓળખ 32 વર્ષીય રાજન કેસી નેપાળી તરીકે થઈ છે, જે ખોડિયાર કોલોની નજીક હિમાલય સોસાયટી શેરી નંબર-3માં રહેતો હતો અને એક હોટલમાં કામ કરતો હતો. તેનો મૃતદેહ મકાનની અગાસી પર લોખંડના એન્ગલ સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળી આવ્યો હતો. મોડી સાંજે આ મૃતદેહ મળી આવતાં જામનગરનો સિટી સી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. શહેર વિભાગના DYSP જે. એન. ઝાલાએ પણ સ્થળની મુલાકાત લઈ બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. પોલીસે નેપાળી યુવકના મૃતદેહને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને તેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આસપાસના રહેવાસીઓ તેમજ હોટલમાં કામ કરતા અન્ય વ્યક્તિઓના નિવેદનો નોંધવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 12:24 pm

ગોધરા તાલુકામાં ભૂકંપના આંચકા અનુભવાયા:કાકણપુર, પઢીયાર સહિતના વિસ્તારોમાં સવારે ધરા ધ્રુજી, સ્થાનિકોમાં ભયનો માહોલ

ગોધરા તાલુકાના કાકણપુર, પઢીયાર, વેલવડ અને રામપુરા સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ આંચકા સવારે 10 વાગ્યે, 8 મિનિટે અનુભવાયા હતા. ભૂકંપના આ હળવા આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી. જિલ્લા પ્રશાસન દ્વારા ભૂકંપની ચોક્કસ માહિતી અને તેની તીવ્રતા જાણવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2001 બાદ પ્રથમ વાર ભૂકંપના આંચકા અનુભવાયા છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 12:14 pm

રાજકોટમાં કેન્સરના દર્દીઓ માટેના પેલીએટીવ કેર સેન્ટર શરૂ થશે:UP શંકરાચાર્ય વિવાદ મામલે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્યને સવાલ કરતાં જવાબ ટાળ્યો

રાજકોટ અને સૌરાષ્ટ્રના કેન્સરગ્રસ્ત દર્દીઓને એક ઉત્તમ સારવારની સાથે માનસિક, સામાજિક અને આધ્યાત્મિક સપોર્ટ મળે તે માટે કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા પેલેટિવ કેર બનાવવામાં આવી રહ્યું છે. જેના માટે એક એકર જેટલી જમીન દાત્તા તરફથી મળતા ઓગષ્ટ મહિનાથી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને હાલ રૂ.7 કરોડના ફંડ સાથે 25 બેડની બિલ્ડીંગ તૈયાર કરવામાં આવશે સમય રહેતા ફંડ વધશે તો બેડની સંખ્યા વધારીને 50 કરવામાં આવશે. ‘ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવી જોઈએ’જેમાં દ્વારકાની શારદાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજે જણાવ્યું હતું કે, દર્દીઓ માટે અહીં કેન્સર કેર સેન્ટર શરૂ થઈ રહ્યું છે તે ખૂબ જ સારી બાબત છે. આ ઉપરાંત જણાવ્યું હતું કે, ગુજરાતમાં નહીં પરંતુ ભારતમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવી જોઈએ. અમે 50 વર્ષથી કહી રહ્યા છીએ કે ગૌ હત્યા બંધ કરવામાં આવે. હિન્દુ હોવાનું પહેલું પ્રમાણ એ જ ગૌમાતાની પૂજા છે. જોકે ઉત્તર પ્રદેશમાં શંકરાચાર્યના ચાલી રહેલા વિવાદ અંગે પૂછવામાં આવતા તેમના દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો. વિવિધ સાધુસંતોની હાજરીમાં ભૂમિપુજનરાજકોટ આર્ષ વિદ્યામંદિરના સ્વામી પરમાત્માનંદ સરસ્વતી તેમજ જીગ્નેશ દાદા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. જ્યારે જૂનાગઢના ગિરનાર મંડળના અધ્યક્ષ અને કાશીના પંચ દશનામ જુના અખાડાના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઇન્દ્રભારતીજી મહારાજની તબિયત નાદુરસ્ત છે તો ભાઈશ્રી રમેશ ઓઝાને ગાંધીનગર કથા હોવાથી તેઓ ઉપસ્થિત રહ્યા ન હતા. પેલીએટિવ કેન્સર કેર સેન્ટરનું ખાતમુહૂર્ત દ્વારકા મઠના શંકરાચાર્યજીના હસ્તે કેન્સર કેર ફાઉન્ડેશનના ફાઉન્ડર અને પ્રેસિડેન્ટ અશ્વિનભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં વર્ષે કેન્સરના એક લાખ દર્દીઓ સામે આવી રહ્યા છે. રાજકોટ હવે કેન્સરની રાજધાની બની રહ્યું છે કેન્સરના છેલ્લા સ્ટેજમાં રહેલા દર્દીઓને યોગ્ય સારસંભાળ મળે તે માટે પ્રીતિબેન પ્રભુદાસભાઈ પારેખ પેલીએટિવ કેન્સર કેર સેન્ટરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેનું ખાતમુહૂર્ત આજે દ્વારકા મઠના શંકરાચાર્યજીના હસ્તે કરવામાં આવશે. દરરોજના 50થી 100 કેન્સર દર્દીઓને વિવિધ રીતે મદદરૂપતેમણે વધુમા જણાવ્યું હતું કે, વર્ષ 2019માં મને કેન્સર ડિટેકટ થતા મેં કેન્સર ક્લબ બનાવી. આ સમયે હું એકલો હતો પરંતુ આજે 600 જેટલા સભ્યો સાથેની એક મોટી સંસ્થા બની ગઈ છે. કેન્સર ક્લબમાંથી અમે કેન્સર કેર ફાઉન્ડેશન નામની રજીસ્ટર સંસ્થા શરૂ કરી. આજે અમારી સંસ્થા દરરોજના 50થી 100 કેન્સર દર્દીઓને વિવિધ રીતે મદદરૂપ બને છે. વર્ષ 2020થી અમે લોકોએ કેન્સરના દર્દીઓ માટે વિવિધ પ્રકારની સુવિધાઓ પ્રત્યક્ષ રીતે, પરોક્ષ રીતે, કેન્સર અવેર્નેસન વિવિધ પ્રોગ્રામ, વેક્સિનેશ વિના મુલ્યે બાળકો અને દીકરીઓને આપવામાં આવે છે. અને વિવિધ રીતે કેન્સર અવેરનેસના પ્રોગ્રામ કરીએ છીએ. સરકારો કચેરીઓ અને ખાનગી સંસ્થાઓમાં અમે લોકો વ્યસન અટકાવવા માટે લોકોને સમજાવી રહ્યા છીએ અને કેન્સર સામે જાગૃતતા લાવવા પ્રયાસ કરીએ છીએ એની ગંભીરતા સમજાવી વ્યસન મુક્તિના સેમિનાર પણ કરીએ છીએ. ‘સૌરાષ્ટ્ર કેન્સરની રાજધાની બની ગયું હોય તેવું લાગી રહ્યું છે’તેમને વધુમાં જણાવ્યું હતું કે, કેન્સરમાં મોટા ભાગના દર્દીઓને મોટીવેશનની જરૂરિયાત રહેતી હોય છે. અમારી સંસ્થા મોટિવેશન પણ પુરુ પાડે છે. દર્દીઓને કેન્સર ડિટેકટ થયા પછી ડોક્ટરની સલાહ મુજબ સારવાર કરાવવા અમે સલાહ આપીએ છીએ. કેન્સર ડિટેકટ થયા પછી કીમોથેરાપી, રેડિયેશન સ્કિપ ન કરવી જોઈએ આ બાબતે અમે ખાસ સલાહ આપીએ છીએ. સૌરાષ્ટ્રની અંદર કેન્સરના દર્દીઓ દિવસે ને દિવસે ખુબ જ વધી રહ્યા છે. અમારા જેવી એક બે નહિ 50 સંસ્થા જોડાશે તો પણ નહિ પહોંચી શકાય એવી સ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, રાજકોટ જિલ્લામાં કેન્સરના દર્દીઓ વધુ જોવા મળી રહ્યા છે અને સૌરાષ્ટ્ર કેન્સરની રાજધાની બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. માનસિક, આર્થિક અને સામાજિક રીતે પીડાતા દર્દીને સાથ મળશેઆ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે, બાળકોથી લઇ વૃધ્ધો સુધી દર્દીઓ જોવા મળે છે જેમાં 60 વર્ષથી વધુ ઉંમરમાં ફ્રોસ્ટેડનું કેન્સર અને બહેનોમાં 80 વર્ષની ઉંમરે સ્તન કેન્સરના દર્દી પણ જોવા મળી રહ્યા છે. 14 વર્ષથી 40 વર્ષ સુધીની ઉંમરના બહેનોમાં ગર્ભાશયના કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. નાના બાળકોને લ્યુકેમિયા, CML, અને બ્લડ કેન્સરના કેસ વધતા જોવા મળી રહ્યા છે જે ચિંતાજનક કહી શકાય. આ બધા વચ્ચે ફોર ગ્રેડ કેન્સર કયારે આવી જાય તરની ખબર પડતી નથી. અને પછી તે મોંઘી સારવાર બની જાય છે જે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને પોસાતું નથી. આવા દર્દીઓ માનસિક રીતે આર્થિક રીતે અને સામાજિક રીતે પીડાય છે આવા દર્દીના પરિવારજનો પણ પીડા અનુભવતા હોય છે. આવા સમયે અમારી સંસ્થા એ દર્દી અને તેમના પરિવારને સાથ આપે છે. માત્ર ઘરે રહીને સારવાર અપાવવા સલાહ ને કેન્સર પેલીએટીવ સેન્ટરનો નિર્ણયફોર ગ્રેડ કેન્સર એટલે કે ચોથા સ્ટેજનું કેન્સર. ફોર ગ્રેડ કેન્સરમાં સારવાર ન થઇ શકે એવી સ્થિતિ હોય છે જેમાં ડોકટરો દ્વારા તેમને મેડિસિન અને અન્ય સારવાર સાથે માત્ર ઘરે રહીને સારવાર અપાવવા સલાહ આપવામાં આવે છે. આવા સમયે દરેક પરિવારની સ્થિતિ સારી નથી હોતી તેને પેલીએટીવની જરૂર હોય છે માટે રાજકોટના ડો. ખ્યાતિ વસાવડા અને પૂર્વ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ આપેલ સલાહને અનુસરી અમે રાજકોટમાં કેન્સર પેલીએટીવ સેન્ટર શરૂ કરવા નિર્ણય કર્યો હતો. અમદાવાદ બાદ રાજકોટમાં ગુજરાતનું બીજું કેન્સર પેલીએટીવ સેન્ટરગુજરાતમાં એક માત્ર અમદાવાદમાં પેલીએટીવ સેન્ટર કાર્યરત છે જે અમે જોયું હતું અને જાણ્યું હતું જે બાદ હવે ગુજરાતમાં બીજું અને સૌરાષ્ટ્રમાં પહેલું કેન્સર પેલીએટીવ સેન્ટર અમે રાજકોટમાં બનાવવા જઇ રહ્યા છીએ. આ માટે કાલાવડ રોડ પર અમન દાતા દ્વારા જગ્યા પણ ફાળવી દેવામાં આવી છે અને પ્રાથમિક હાલ 25 બેડ સાથે આ સેન્ટર શરૂ કરવાનું આયોજન છે શક્ય હશે તો અમે તેને 50 બેડનું કરવા પણ પ્રયત્ન કરી રહ્યા છીએ અને જો આવું બને તો દેશનું સૌથી મોટું પેલીએટીવ કેન્સર સેન્ટર બની જશે કારણ કે 50 બેડની સુવિધા સાથે આખા દેશમાં કોઈ જગ્યાએ પેલીએટીવ કેર સેન્ટર ઉપલબ્ધ નથી. ‘નિઃશુલ્ક સારવાર અને 5 સ્ટાર હોટલ જેવો અતિઆધુનિક બનાવાનનો સંકલ્પ’કેન્સર પેલીએટીવ સેન્ટર અંગે માહિતી આપતા તેમને જણાવ્યું હતું કે, આખા દેશમાં માત્ર 6 થી 7 મેટ્રો સીટીમાં પેલીએટીવ સેન્ટર છે જયારે ગુજરાતમાં હાલ અમદાવાદમાં કાર્યરત છે અને બીજું રાજકોટમાં બનશે. ગુજરાતમાં અમદાવાદ પેલીએટીવ સેન્ટરમાં પણ દર્દીઓને નિઃશુલ્ક સારવાર મળી રહે છે એ જ રીતે રાજકોટમાં પણ નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે. રાજકોટમાં બનનાર કેન્સર પેલીએટીવ સેન્ટર 5 સ્ટાર હોટલ જેવી અતિઆધુનિક બનાવવાનો અમારો સંકલ્પ છે. અમારી સાથે 250 જેટલા દાતા જોડાયેલા છે જેઓ અમને મદદરૂપ થાય છે જે પૈકીના એક દાતાએ કાલાવડ રોડ પર અમને એક એકર જગ્યા પેલીએટીવ સેન્ટર બનાવવા માટે ફાળવેલ છે. જગ્યા મળ્યા બાદ હવે આ સ્વપ્ન જલ્દીથી સાકાર થતું જોવા મળે છે. તબીબો દ્વારા દર્દીને પેલેટિવ જાહેર કરાશે તેઓને સીધી ત્વરિત સારવાર મળી રહેશેહાલના તબક્કે રૂ.7 કરોડના ફંડ સાથે 25 બેડનું પેલીએટિવ કેર કાર્યરત કરાશે. પરંતુ જો ફંડમાં વધારો થશે તો 50 બેડ સુધી સુવિધા વધારવામાં આવશે. પેલેટિવ કેરમાં તમામ સુવિધા-સારવાર અને સગવડો નિ:શુલ્ક રહેશે. તબીબ દ્વારા કોઈ દર્દીને પેલેટિવ જાહેર કરાશે તો તુરંત તેમને પેલીએટિવ કેરમાં એન્ટ્રી મળી જશે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ઓગસ્ટ મહિનાથી જ પેલીએટિવ કેર સેન્ટર માટેની કામગીરી શરૂ થઇ ચુકી છે. બાંધકામ અને તમામ સાધનો સાથે ડિસેમ્બર 2026 સુધીમાં સૌરાષ્ટ્રનું પ્રથમ પેલેટીવ કેર સેન્ટર શરૂ કરવા માટેની પુરી તૈયારી છે. યજ્ઞશાળા, પુસ્તકાલય, ગૌશાળા, હોમ થિયેટર અને ગેમઝોનની સુવિધારાજકોટમાં બનનાર પેલીએટીવ સેન્ટરની અંદર ટ્રીટમેન્ટ એટલે કે તબીબો દ્વારા જે સલાહ આપી હશે એ મુજબ સારવાર આપવામાં આવશે. ફાર્માની સુવિધા પણ અંદર જ ઉપલબ્ધ કરવામાં આવશે. આ ઉપરાંત યજ્ઞશાળા, પુસ્તકાલય, ગૌશાળા, હોમ થિયેટર, પેલેટીવ બાળકો હોય તો તેમના માટે ગેમઝોનની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. આ સાથે અહીંયા 24 કલાક નર્સિંગ સ્ટાફ પણ હાજર હશે અને દર્દી તેમજ તેમની સાથે તેમના એક સબંધી માટે રહેવા જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા આપવામાં આવશે. પેલીએટીવ દર્દી એટલે શું?જયારે પણ કોઈ દર્દીને કેન્સર ડિટેકટ થયું હોય અને પછી તે ચોથા સ્ટેજનું કેન્સર હોય જેની સારવાર બાદ રિકવર થાય તો ત્યારપછી બાકીનો સમય વિતાવવો તેમના માટે ખુબ જ કઠિન હોય છે. આ સમયે તેમને એક હૂંફ અને પ્રેમની જરૂર હોય છે ત્યારે પેલીએટીવ દર્દી માટે તેમની દરેક ઈચ્છા પુરી કરવામાં આવે તો તેમના જીવનમાં એક ખુશી અને આનંદ અલગ જ હોય છે. દરેક પરિવાર પેલીએટીવ દર્દીની બધી ઈચ્છાઓ પુરી નથી કરી શકતો માટે આ સમયે કેન્સર પેલેટીવ કેર સેન્ટર તેમના માટે ખુબ જ લાભદાયી નીવડે છે. રાજકોટના કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા આ જ વિચાર સાથે કેન્સર પેલીએટીવ કેર સેન્ટર બનાવવા નિર્ણય કરવામાં આવ્યો છે હાલમાં પણ તેઓ દર્દીઓના ઘરે જઇ તેમની સાથે હરિ ફરી તેમને મદદરૂપ બને જ છે પરંતુ હવે એક સાથે એક જગ્યાએ તેઓએ બધી જ સુવિધા મળી રહે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 12:04 pm

બેંકના હપ્તા ન ભરતા રિકવરી એજન્ટોએ યુવક માર માર્યો:ક્રેડિટકાર્ડની બાકી રકમને લઈ કેક શોપમાં થયો ઝઘડો, પોલીસે ચાર સામે ગુનો નોંધ્યો

ભાવનગર શહેરના ભરતનગર રિંગ રોડ પર આવેલ સિલ્વરસ્કાય કોમ્પલેક્ષમાં આવેલી કેકની દુકાનમાં ક્રેડિટકાર્ડના હપ્તાની વસુલાતને લઈને ઝઘડો ઉગ્ર બન્યો હતો. વસૂલી કરવા આવેલા ખાનગી બેંકના રિકવરી એજન્ટ અને તેના સાથીઓએ યુવક પર હુમલો કર્યો હતો. મારામારીમાં યુવકને ઇજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ભરતનગર પોલીસે 4 શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બેંકના રિકવર એજન્ટોએ આવી ઝઘડો કર્યોભરતનગરના હરિઓમ નગરના રહેવાસી પ્રતિક ભીમજીભાઈ પાંગળ/રાવળદેવએ ફરિયાદ નોંધાવી હતી કે, સાંજના 7.30 વાગ્યે ફરિયાદી પ્રતિક તથા તેના બાપુજી તથા તેના ભાઈ ભરતનગર રિંગ રોડ સિલ્વરસ્કાય કોમ્પલેક્ષમા ધ કેક પોઇન્ટ નામની કેકની દુકાને હાજર હતા. આ દરમિયાન એક્સિસ બેંકમાં રિકવરી એજન્ટ તરીકે નોકરી કરતા બેંકના કર્મચારી મિતરાજસિંહ તથા હરદીપસિંહ ક્રેડિટકાર્ડના હપ્તાના તેમજ કેડીટકાર્ડમાંથી ઉપાડેલા રૂપિયા મળી બેંકના 45,000 હજાર બાકી રૂપિયાની વસુલાત માટે આવ્યા હતાં. પૈસાની સગવડ ન હોવાનું કહેતાં માર માર્યોમારી પાસે સગવડ ન હોવાથી મેં આવતા મહીને બેંકમાં ભરી આપીશ તેમ કહેતા બંને જણા ઉશ્કેરાયા હતાં અને મને ગાળો દેવા લાગ્યા હતા. આ દરમિયાન અન્ય બીજા બે અજાણ્યા શખસ આવ્યાં અને તે પણ મારી પાસે બેંકના બાકીના રહેતા હપ્તાની માંગણી કરતા મારી પાસે હપ્તા ભરવાની સગવડ ન હોલાથી ના પાડી હતી, જેથી અજાણ્યા શખસો પૈકી એક શખસે મને ધોલ-થપાટનો ઘા માર્યો તથા મારા હાથમા કેક કાપવાની છરી હતી તે બીજા માણસે આંચકી લઈ મને જમણા હાથના અંગુઠા પર મારતા ઇજા થઈ હતી. ત્યારબાદ મને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં લઇ ગયાં જ્યા મને પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવાઈ છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરીઆ બનાવ બાબતે પીડિતે મિતરાજસિંહ, હરદીપસિંહ તથા બીજા બે અજાણ્યા માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પ્રતિક પાંગળ/રાવળદેવની ફરિયાદ નોંધી ભરતનગર પોલીસે મિતરાજસિંહ, હરદીપસિંહ અને અન્ય બીજા બે અજણાયા ઈસમો વિરુદ્ધ BNS 115(2), 118(1), 352,54 અને જી.પી.એકટ 135 ની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 12:02 pm

ખોદકામ બાદ રસ્તો સમતલ કરવાનું તંત્ર ભૂલ્યું:મહેસાણા મહાનગરપાલિકા બન્યા બાદ પણ ટીબી રોડની હાલત ઉબડ-ખાબડ

મહેસાણાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના વિકાસકાર્યોમાં ગતિ આવશે તેવી આશા સેવાઈ રહી હતી, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. શહેરમાં વિકાસના નામે થતા ખોદકામ અને તોડફોડ બાદ યોગ્ય રિપેરિંગ ન થતા નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શહેરના ટીબી રોડ વિસ્તારમાં એક માસ અગાઉ નવીન પાઇપલાઇન નાખવા માટે કરવામાં આવેલા ખોદકામ બાદ રસ્તાની મરામ્મત ન કરાતા સ્થાનિકો અને વાહનચાલકોની હાલાકીમાં અનેકગણો વધારો થયો છે. ટીબી રોડ સમતલ ના કરતાં સમગ્ર માર્ગ ઉબડ-ખાબડટીબી રોડ પર અંદાજે 500 મીટરથી વધુ લંબાઈમાં પાઇપલાઇન નાખવા માટે રસ્તો ખોદવામાં આવ્યો હતો. કામગીરી પૂર્ણ થયા બાદ તંત્ર દ્વારા ખાડા તો પૂરી દેવામાં આવ્યા છે. પરંતુ એક મહિનો વીતી જવા છતાં આ રસ્તાને સમતલ કરવાની કે નવો ડામર રોડ બનાવવાની તસ્દી લેવામાં આવી નથી. જેના કારણે સમગ્ર માર્ગ ઉબડ-ખાબડ બની ગયો છે. વાહનચાલકો વારંવાર અકસ્માતનો ભોગ બની રહ્યા આ બિસ્માર રસ્તાને લીધે ધૂળની ડમરીઓ ઉડવા સાથે વાહનચાલકો વારંવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે. સ્થાનિક રહીશો દ્વારા આ બાબતે વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પાલિકાના સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી. 'ટીબી રોડ વિસ્તાર સાથે મનપાનું ઓરમાયું વર્તન'આ ગંભીર બેદરકારી અંગે પૂર્વ નગરસેવક જનક બ્રહ્મભટ્ટે તંત્ર સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મહેસાણા મહાનગરપાલિકાના હાલના અધિકારીઓ દ્વારા ટીબી રોડ વિસ્તાર સાથે ઓરમાયું વર્તન રાખી ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. લાંબો સમય વીતવા છતાં રસ્તાનું મરામ્મત કાર્ય ન થવું તે તંત્રની નિષ્ક્રિયતા દર્શાવે છે. જો વહેલી તકે આ માર્ગનું યોગ્ય સમારકામ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવે તેવી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 11:52 am

પોશીનામાં 3.112 કિલો ગાંજા સાથે ચાલક ઝડપાયો:વેગનઆર કારમાંથી પોલીસે રૂ. 1.55 લાખનો જથ્થો જપ્ત કર્યો

સાબરકાંઠા જિલ્લાના પોશીના પોલીસ સ્ટેશન નજીક વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક વેગનઆર કારમાંથી 3.112 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસે વલસાડી ગામના એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસે ગાંજા ઉપરાંત કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 3.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા ગાંજાની કિંમત આશરે રૂ. 1.55 લાખ આંકવામાં આવી છે. પોશીના પોલીસ સ્ટેશનના PI ડી.એન. સાધુએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, PSI આર.કે. ગજ્જર અને તેમની ટીમ, જેમાં પરેશકુમાર, દીપકકુમાર, દશરથભાઈ અને તેજસભાઈનો સમાવેશ થાય છે, તેઓ વાહન ચેકિંગ કરી રહ્યા હતા. પરેશકુમારને મળેલી બાતમીના આધારે આ વેગનઆર કાર (GJ 23 M 4117)ને રોકવામાં આવી હતી અને તેની તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી 3.112 કિલોગ્રામ સૂકો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આરોપી દીતાભાઈ ખેતાભાઈ બુંબડીયા (ઉંમર 31, રહે. વલસાડી, તા. પોશીના, જિ. સાબરકાંઠા) વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 11:50 am

રાજેન્દ્રનગરના જંગલમાં 3.88 લાખનો દારૂ ઝડપાયો:ક્રેટા કાર, બાઈક, એક્ટિવા સાથે 9.68 લાખનો મુદ્દામાલ જપ્ત

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાજેન્દ્રનગરના જંગલ વિસ્તારમાં વિદેશી દારૂનું કટિંગ ઝડપાયું છે. ગાંભોઈ પોલીસે બળદ પગલા પાસેના ખેતરમાંથી 3.88 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર જપ્ત કરી છે. આ કાર્યવાહીમાં કુલ 9.68 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. ગાંભોઈ પોલીસ સ્ટેશનના PI એસ.જે. ગોસ્વામીએ જણાવ્યું હતું કે, પોલીસ સ્ટાફના કુંદનસિંહની બાતમીના આધારે આડા હાથરોલથી રાજેન્દ્રનગર તરફ જતા ત્રણ રસ્તા પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી. ભિલોડા તરફથી બાતમીવાળી ક્રેટા ગાડી આવતા તેના ચાલકે નાકાબંધી તોડી રાજેન્દ્રનગર રોડ પરથી સજાપુર ગામ તરફ ગાડી હંકારી હતી. પોલીસે ખાનગી વાહનથી પીછો કરતા ચાલકે ગાડી સજાપુર ગામ નજીક બાળમણિયા ડુંગરવાળી સીમમાં બળદ પગલા તરીકે ઓળખાતી જગ્યા પાસે ખેતરોમાં થઈ ડુંગરની અવાવરુ જગ્યાએ સંતાડી હતી. દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન પોલીસને જોઈને ચાલક પોતાની ગાડી મૂકીને નાસી છૂટ્યો હતો. પોલીસે ક્રેટા કારમાંથી 1275 વિદેશી દારૂ અને બિયર ટીન જપ્ત કર્યા હતા, જેની કિંમત 3,88,720 રૂપિયા થાય છે. આ ઉપરાંત, 5 લાખ રૂપિયાની ક્રેટા કાર, 80 હજાર રૂપિયાનું મોટરસાયકલ અને એક્ટિવા સહિત કુલ 9,68,720 રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 11:43 am

દ્વારકામાં પૂર્ણિમાએ દ્વારકાધીશના દર્શને ભક્તોનું ઘોડાપૂર:ગોમતી સ્નાન અને દર્શનના પવિત્ર સંયોગે ભક્તોમાં વિશેષ ઉત્સાહ

યાત્રાધામ દ્વારકામાં પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ શિયાળાના ઠંડા વાતાવરણમાં હજારો ભાવિકોએ ગોમતી નદીમાં સ્નાન કર્યું હતું. ગોમતી સ્નાન અને દ્વારકાધીશ દર્શનના પવિત્ર સંયોગે ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. બ્રહ્મમુહૂર્તથી જ ગોમતી ઘાટો પર ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. દેશ-વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓએ ગોમતી નદીમાં પવિત્ર સ્નાન કર્યું. સ્નાન કર્યા બાદ, ભક્તો 56 સીડીઓ ચઢીને ભગવાન દ્વારકાધીશના દર્શન માટે મંદિર તરફ આગળ વધ્યા હતા. પૂર્ણિમાના દિવસે ભગવાન દ્વારકાધીશના વિશેષ શૃંગાર અને મંગળ આરતીના દર્શન માટે મંદિર પરિસરમાં ભારે ભીડ હતી. હરિ-નામના ગુંજન અને જય દ્વારકાધીશના નારા સાથે સમગ્ર દ્વારકા નગરી ભક્તિમય બની હતી. ભક્તોએ ભગવાનના અલૌકિક સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દેશના વિવિધ રાજ્યો ઉપરાંત વિદેશથી પણ શ્રદ્ધાળુઓ પૂર્ણિમાના પર્વે દ્વારકાધીશના દર્શને આવ્યા હતા. અનેક ભક્તોએ પરિવાર સાથે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી સુખ-સમૃદ્ધિ અને કલ્યાણની કામના કરી હતી. ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ, પોલીસ પ્રશાસન અને સ્વયંસેવકો દ્વારા યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી હતી અને ભક્તોને સુવ્યવસ્થિત રીતે દર્શન મળી રહે તે માટે કતાર વ્યવસ્થા અમલમાં મુકાઈ હતી. કોઈ અનિચ્છનીય ઘટના વગર સમગ્ર દર્શન વ્યવસ્થા સુચારુ રીતે સંપન્ન થઈ હતી. આમ, પૂર્ણિમાના પાવન પર્વે યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે ઉમટેલા ભક્તોના ઘોડાપૂરથી સમગ્ર નગરીમાં ધાર્મિક શ્રદ્ધા અને ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 11:35 am