પાટણમાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક:કલેકટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં કામોની સમીક્ષા
પાટણ જિલ્લા કલેકટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેકટર ભટ્ટે પાણી પુરવઠા અને ગટર બોર્ડ દ્વારા અમલમાં મુકાયેલી યોજનાઓ તેમજ પ્રગતિ હેઠળના કામોની વિસ્તૃત સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને જરૂરી સૂચનો પણ આપ્યા હતા. બેઠક દરમિયાન, કલેકટર તુષાર ભટ્ટે રીજુવિનેશન અને અનુસૂચિત જાતિ પેટા યોજના કાર્યક્રમ હેઠળના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. આ ઉપરાંત, વાસ્મો અંતર્ગત પ્રગતિ હેઠળની યોજનાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. નવીન યોજનાઓ માટે વહીવટી મંજૂરી અંગે પણ ચર્ચા થઈ હતી. આ બેઠકમાં ગતિશક્તિ પોર્ટલ પર થયેલી એન્ટ્રીઓ, જલ અર્પણ દિવસની ઉજવણી માટે બે ગામોની પસંદગી, DWSM અંતર્ગત સ્વચ્છ ભારત મિશન (SBM)ની કામગીરીની સમીક્ષા કરાઈ હતી. પાણી પુરવઠા સંબંધિત ફરિયાદો અને તેના નિરાકરણ અંગે પણ અધિકારીઓ પાસેથી વિગતો મેળવીને ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુભાઈ પટેલ, વાસ્મોના અધિકારીઓ સહિત જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
સુરતના કતારગામ વિસ્તારમાં 21 જાન્યુઆરીની રાતે ઠાકોર સમાજનું ભવ્ય સંમેલન યોજાયું હતું, જેમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે વિશેષ હાજરી આપી હતી. તેમણે સમાજના લોકોને સંબોધતા જણાવ્યું કે, એસઆઈઆરની કામગીરી અંતર્ગત તમામ સમાજના લોકોએ પોતાનું નામ નોંધણી કરવાની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવી જોઈએ. જો લોકોએ સુરતમાં ધંધા-રોજગાર માટે કાયમી રહેવું હોય, તો તેઓ સુરતમાં પોતાનું નામ ટ્રાન્સફર કરાવી શકે છે. ઠાકોર સમાજના લોકોએ ખાસ ચકાસણી કરવી જોઈએ કે તેમનું નામ આ યાદીમાં છે કે નહીં. આ સાથે તેઓએ ભાજપના સાંસદ ગોવિંદ ધોળકિયાના વખાણ પણ કર્યા હતાં. રત્નકલાકારોને આર્થિક સહાય મળે તે માટે રજૂઆત કરીશઃગેનીબેનસુરતના ડાયમંડ ઉદ્યોગમાં ચાલી રહેલી મંદી અંગે ગેનીબેને ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે નિવેદન આપ્યું કે, સુરતમાં ડાયમંડ ઉદ્યોગમાં હાલ મંદી ચાલી રહી છે, જેના કારણે રત્નકલાકારોના પરિવારોને આર્થિક રીતે મોટી અસર થઈ છે. ગેનીબેને ખાતરી આપી હતી કે, તેઓ આ ગંભીર બાબતે સરકાર સમક્ષ યોગ્ય રજૂઆત કરશે. તેમણે સ્પષ્ટ કર્યું કે, હું તમામ પુરાવાઓ સાથે નાણામંત્રી સમક્ષ રત્નકલાકારોને આર્થિક સહાય મળે તે માટે રજૂઆત કરીશ, જેથી મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોને થોડી રાહત મળી શકે. ‘જેમ મુંબઈ દેશની આર્થિક રાજધાની છે, તેમ સુરત સમગ્ર ગુજરાતની’ગેનીબેન ઠાકોરે સુરતના વિકાસ અને તેના 'સ્ટેટસ' વિશે વાત કરતા કહ્યું હતું કે, સુરતમાં રહેવું એ આજે એક ગૌરવ અને સ્ટેટસ ગણાય છે. સુરતમાં કોઈપણ નાનો-મોટો ધંધો કે રોજગાર કરવો એ પ્રતિષ્ઠાની વાત છે. તેમણે સુરતની સરખામણી મુંબઈ સાથે કરતા જણાવ્યું કે, જેમ મુંબઈ દેશની આર્થિક રાજધાની છે, તેમ સુરત સમગ્ર ગુજરાતની આર્થિક રાજધાની છે. અહીં વસતા દરેક વ્યક્તિએ પોતાની મહેનતથી પોતાની ઓળખ ઊભી કરી છે, જે ખરેખર પ્રશંસનીય બાબત છે. ‘રાજકીય કિન્નાખોરી રાખીને કોઈ સમાજને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં’રાજકારણ અને સામાજિક એકતા પર ભાર મૂકતા ગેનીબેને 'રાજધર્મ'ની નવી વ્યાખ્યા આપી હતી. તેમણે કહ્યું કે, તમામ સમાજને સાથે રાખીને આગળ ચાલવું જોઈએ. રાજકીય કિન્નાખોરી રાખીને ક્યારેય કોઈ પણ સમાજને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. પોતાના અનુભવ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, હું જ્યારે સાંસદ બની ત્યારે મારું સૌથી પહેલું સ્વાગત ચૌધરી સમાજે કર્યું હતું. તેમણે અંતમાં ઉમેર્યું કે, તમામ સમાજની નિઃસ્વાર્થ ભાવે સેવા કરીને આગળ વધવું એ જ સાચો અને શ્રેષ્ઠ રાજધર્મ છે. ગેનીબેને ગોવિંદભાઈ ધોળકિયાની પ્રશંસા કરીઆ સંમેલન દરમિયાન ગેનીબેને ભાજપના સાંસદ અને ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાના મુક્તકંઠે વખાણ કર્યા હતા. તેમણે નિવેદન આપ્યું કે, ગોવિંદભાઈ ધોળકિયાએ ડાયમંડ ઉદ્યોગમાં જે સિદ્ધિ હાંસલ કરી છે તે કોઈ એક-બે વર્ષમાં નહીં, પરંતુ 25 વર્ષની સતત મહેનતનું પરિણામ છે. તેમણે વધુમાં જણાવ્યું કે ગોવિંદભાઈએ માત્ર પોતાનો વિકાસ નથી કર્યો, પરંતુ રત્નકલાકારોનું પણ ખૂબ ધ્યાન રાખ્યું છે. તમામ સમાજને સાથે લઈને ચાલવાની તેમની વૃત્તિને કારણે જ આજે તેમનું નામ ઉદ્યોગ જગતમાં સર્વોચ્ચ સ્થાને બિરાજમાન છે. સામાજિક બંધારણ અને બિનજરૂરી ખર્ચ ઘટાડવાની અપીલસમાજના કુરિવાજો અને આર્થિક ભારણ પર ગેનીબેને કટાક્ષ કરતા મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, હાલ ઘણા સમાજ પોતાનું બંધારણ બનાવી રહ્યા છે, જે સારી વાત છે. ઠાકોર સમાજે પણ સામાજિક ખર્ચ ઓછા કરવા માટે જાગૃત થવું પડશે. લગ્ન પ્રસંગોમાં થતા ભપકા અને સોના-ચાંદીના વહેવાર પર તેમણે રોક લગાવવાની હાકલ કરી હતી.સામાજિક સુધારા એ આજના સમયની માંગ છે અને દરેક પરિવારે આ દિશામાં વિચારીને આર્થિક બચત તરફ વળવું જોઈએ. ખેતીની જમીન અને ચાંદીના ભાવ પર કટાક્ષછેલ્લા ફકરામાં ગેનીબેને ખેડૂતોને જમીન ન વેચવા માટે ભાવુક અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, ચાંદીના ભાવ અત્યારે આસમાને છે. લગ્ન પ્રસંગમાં ચાંદી આપવાના રિવાજને કારણે ખેડૂતોએ પોતાની એક-બે વીઘા જમીન વેચવી પડે છે. તેમણે ચેતવણી આપી કે આ જમીન કોઈ બીજો ખેડૂત નહીં પણ ઇન્વેસ્ટરો ખરીદે છે, જેનાથી જમીન વેચનાર વ્યક્તિ ખેડૂત મટી જાય છે. ખેડૂત પોતાની ઓળખ ન ગુમાવે તે માટે ખોટા ખર્ચ અને દેખાદેખી બંધ કરવી જોઈએ, તેમ તેમણે સમાજને ભારપૂર્વક જણાવ્યું હતું.
ચાર લોકોના મોત બાદ રાપરમાં કાર્યવાહી:250થી વધુ રખડતા આંખલા પકડી પાંજરાપોળ મોકલાયા
વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં રખડતા આંખલાઓના કારણે ચાર લોકોના મોત થયા હતા, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાઓ અને લોકોની રજૂઆતો બાદ નગરપાલિકા દ્વારા રખડતા ઢોર અને આંખલાઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા એક પખવાડિયાથી રાત્રી દરમિયાન આ કામગીરી નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે અને ચીફ ઓફિસર તરુણદાન ગઢવીના વડપણ હેઠળ ચાલી રહી છે. નગરપાલિકાના સ્ટાફના ધર્મેન્દ્રસિંહ જાડેજા, કાનજીભાઈ ડોડીયા, વિષ્ણુ, પિન્ટુ અને લલિતની ટીમે રાપર શહેરના સલારીનાકા, ભૂતિયા કોઠા રોડ, માંડવી ચોક, માલી ચોક, અયોધ્યાપુરી, પ્રાગપર ચોકડી, એસટી બસ સ્ટેન્ડ રોડ સહિતના વિસ્તારોમાં કાર્યવાહી કરી છે. નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડેએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, અઢીસો જેટલા રખડતા આંખલાઓને રાપર, ત્રંબો, સુવઈ, ફતેગઢ, પલાંસવા, ગાગોદર અને પદમપર સહિતની પાંજરાપોળ અને ગૌશાળામાં મોકલી દેવામાં આવ્યા છે. પકડીને ગૌશાળા અને પાંજરાપોળમાં મૂકવામાં આવેલા આ ઢોરો અને આંખલાઓ શહેરમાં પરત ન આવી જાય તે માટે સંચાલકોને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, રખડતા આંખલાઓ અને ઢોરોને પકડવાની કામગીરી જ્યાં સુધી તમામ આંખલાઓ અને રખડતા ઢોરો પકડાઈ ન જાય ત્યાં સુધી ચાલુ રહેશે. આ ઉપરાંત, જાહેરમાં કચરો નાખતા વેપારીઓ અને ઘાસચારો નાખતા લોકોને કડક સૂચના આપી કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ હાઈવે પર છાલિયા તળાવ પાસે મોડી રાત્રે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બોલેરો પિકઅપ, આઈશર, ટ્રક અને ડમ્પર સહિતના વાહનો વચ્ચે ટક્કર થતાં હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતમાં ત્રણ વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવી વધુ તપાસ હાથ ધરી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, હાઈવે પર લાઈટો બંધ હોવાને કારણે દૃશ્યતા ઓછી રહે છે, જેના કારણે આવા અકસ્માતો વારંવાર બનતા હોય છે.
વલસાડ જિલ્લાના નાનાપોંઢા મામલતદારની સરકારી ગાડીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં મામલતદારની ગેરહાજરીમાં સરકારી ગાડીનો ડ્રાઇવર લાલ લાઇટ ચાલુ રાખીને બેફામ રીતે વાહન ચલાવતો જોવા મળે છે. પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટના નેશનલ હાઇવે પર બની હતી. ડ્રાઇવરે લાલ લાઇટ ચાલુ રાખીને ઝડપી અને જોખમી રીતે વાહન હંકાર્યું હતું, જેના કારણે અન્ય વાહનચાલકો માટે પણ જોખમ ઊભું થયું હતું. નિયમો અનુસાર, જ્યારે મામલતદાર ગાડીમાં હાજર ન હોય ત્યારે લાલ લાઇટ ચાલુ રાખવી એ નિયમભંગ ગણાય છે. જાણવા મળ્યા મુજબ, ડ્રાઇવર વલસાડ ખાતે રહેતા મામલતદારને કેટલાક દસ્તાવેજો આપવા જઈ રહ્યો હતો. આ ઘટના બાદ સરકારી વાહનના દુરુપયોગ અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન અંગે જવાબદાર અધિકારીઓ દ્વારા તપાસ અને કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. વીડિયો વાયરલ થતાં તંત્રની કામગીરી અને શિસ્ત પર પણ સવાલો ઊભા થયા છે. આ અંગે નાનાપોંઢા અને વાપીના મામલતદાર નવીન ચૌવરાએ જણાવ્યું હતું કે, તેમણે વાપી અને નાનાપોંઢા ખાતે ચાલી રહેલી SIRની લોકસુનવણીના પેપર અને ફરિયાદ નિવારણ કાર્યક્રમની ફાઇલ મંગાવી હતી. તેમણે ઉમેર્યું કે, અત્યાર સુધી ડ્રાઇવરે તેમની હાજરી વગર ક્યારેય લાલ લાઇટ ચાલુ રાખી નથી. તેમ છતાં, વીડિયોના આધારે ડ્રાઇવરને નોટિસ આપી યોગ્ય જવાબ લેવામાં આવશે અને કાર્યવાહી કરાશે.
બનાસકાંઠાના ડીસા નજીક બનાસ પુલ પર આજે સવારે ચાર વાહન વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઈકો કાર, બે બસ અને એક ટેન્કર સામસામે અથડાયા હતા. આ દુર્ઘટનામાં છથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે બનાસ પુલ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેના પગલે વાહનચાલકોને લાંબા સમય સુધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરવા અને અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. આ પણ વાંચો જેતપુર-ધોરાજી નેશનલ હાઇવે પર 9 દિવસ પહેલાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં મોડીરાત્રે પૂરઝડપે જતી એક કારનું ટાયર ફાટી જતાં કાર ફંગોળાઇ હતી. આ કારમાં સવાર દંપતી પૈકી પત્નીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, આ દંપતીના 13 ફેબ્રુઆરી 2025ના રોજ લગ્ન થયાં હતાં, લગ્નના 11 મહિને જ બંનેનો સાથ છૂટી ગયો છે. સંપૂર્ણ અહેવાલ વાંચો… બીજી તરફ આવો જ અકસ્માત સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી નજીક ઘાસપુર અને ફુલકી ગામ વચ્ચે સર્જાયો હતો. બાઇક અને છકડા વચ્ચે ગમખ્વાર અકસ્મામાં પતિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પત્ની ગંભીર રીતે ઘાયલ થઈ હતી. રોગસાઈડથી આવતા છકડાએ બાઈકને ટક્કર મારી આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદના માંડલ તાલુકાના અખિયાણાના રહેવાસી જતીન ઠાકોર અને તેની પત્ની કોમલબેન ઠાકોર જૈઓ દસાડા તાલુકાના હરિપર ખાતે પત્નીના પિયર આવ્યાં હતા. જે બાદ ફરી પોતાના અખિયાણા ગામ જઈ રહ્યા હતા. તે દરમિયાન ફુલકી ઘાસપુર વચ્ચે પુરપાટ રોગસાઈડથી દોડી આવતા છકડાએ તેઓની બાઈકને ટક્કર મારી હતી. જેથી અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર લોહીના ખાબોચીયા ભરાયા અકસ્માત બાદ જતીન ઠાકોરને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં રસ્તા પર લોહીના ખાબોચીયા ભરાઈ ગયા હતા. આ અકસ્માતમાં તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે તેમની પત્નીને હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો… પૂરઝડપે આવતી કાર આંખના પલકારામાં પલટી, CCTV હળવદ-મોરબી હાઈવે પર ચરાડવા ગામ નજીક રાત્રે એક અકસ્માતની ઘટના સામે આવી હતી. પૂરઝડપે આવતી કાર થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી. એ બાદ આંખના પલકારમાં પલટી ગઈ હતી, જેના CCTV સામે આવ્યાં છે. આ અકસ્માતમાં કારચાલકને ઈજા પહોંચી હતી. કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત આ ઘટના અંગે પ્રાથમિક માહિતી અનુસાર, કારચાલક પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે હાઈવે પર અચાનક તેણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેથી કાર રોડ સાઈડમાં આવેલા પેટ્રોલ પંપ નજીક એક થાંભલા સાથે જોરદાર રીતે અથડાઈ હતી, જેના કારણે થાંભલો તૂટી પડ્યો હતો અને કાર પલટી ખાઈ ગઈ હતી. ઈજાગ્રસ્ત કારચાલકને સારવાર માટે ખસેડાયો આ અકસ્માતની ઘટના બનતાં જ ત્યાં પેટ્રોલપંપમાં હાજર લોકો તેમજ અન્ય વાહનચાલકો તાત્કાલિક દોડી આવ્યા હતા. આ ઘટનામાં કારચાલકને ઈજા પહોંચી હતી, જેથી ઘાયલ થયેલા કારચાલકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં કાર પૂરઝડપે આવતી હોઈ, અકસ્માતનો ભોગ બની હોવાનું જોવા મળી રહ્યું છે. હાલ આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. અકસ્માતના અન્ય સમચાર પણ વાંચો પાટણમાં એક્ટિવા બચાવવા જતાં બસ પલટી, 2નાં મોત 11 દિવસ પહેલાં રવિવારે પાટણ જિલ્લાના હારીજ-ચાણસ્મા હાઇવે પર એક્ટિવાચાલકને બચાવવા જતાં લકઝરી બસ પલટી ખાઈ ગઈ હતી, જેથી અકસ્માત સર્જાયો હતો. એમાં એક્ટિવાચાલક સહિત બે લોકોનાં મોત થયાં છે, જ્યારે 18 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પાંચ ગામ લેઉવા પાટીદારના વડીલ વંદના કાર્યક્રમમાંથી વડીલો પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા. એ દરમિયાન તેમની બસનો અકસ્માત થયો હતો. અહિં ક્લિક કરીને આ સમચારને વિસ્તારથી વાંચો વડોદરામાં ડમ્પરનું ટાયર ફરતાં એક્ટિવાચાલકના માંસના લોચા રસ્તા પર ઊડ્યા 13 દિવસ પહેલાં વડોદરા શહેરના ફતેગંજ છાણી રોડ પર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં ડમ્પરે એક્ટિવા પર સવાર 60 વર્ષીય વૃદ્ધને અડફેટે લેતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃતક રાજુભાઈ પરમાર ફતેગંજ વિસ્તારના અમરનગરમાં રહેતા હતા અને રેલવેમાંથી નિવૃત્ત થયેલા કર્મચારી હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ડમ્પરનું ટાયર એક્ટિવાચાલક પર ફરી વળ્યું, જેના કારણે રાજુભાઈના માંસના લોચા રસ્તા પર ઊડી ગયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અહિં ક્લિક કરીને આ સમચારને વિસ્તારથી વાંચો અમદાવાદમાં CNG ગેસકિટ ગાડીએ ઉડાવતાં યુવકનું ઘટનાસ્થળે જ મોત એક મહિના પહેલાં અમદાવાદનો 20 વર્ષનો યુવક તેના પિતરાઈ ભાઈ સાથે એક્ટિવા લઈને શાહીબાગ કેમ્પ હનુમાન ખાતે દર્શન કરવા ગયો હતો. ત્યાર બાદ શાહીબાગથી થલતેજ પોતાના ઘરે પરત જઈ રહ્યો હતો ત્યારે નારણપુરા પાસે યુવકને પાછળથી આવી રહેલી સીએનજી ગાસ્કેટ ગાડીએ ટક્કર મારી હતી, જેમાં એક્ટિવાચાલક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અહિં ક્લિક કરીને આ સમચારને વિસ્તારથી વાંચો
વડોદરા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. જિલ્લાના મંજુસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી એક હોટેલમાંથી ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ ત્રણમાંથી બે વ્યક્તિઓ પાસે હથિયારો મળી આવતા પોલીસ ચોંકી ગઈ હતી, આ હથિયારો ક્યાંથી આવ્યા અને તે ક્યાં લઈ જવાના હતા તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હોટલના રૂમમાંથી ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓ મળી આવ્યાપ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા નજીક વેમાલી ગામની સીમમાં આવેલી હોટેલ રોયલ પેલેસ પર ગુપ્ત માહિતીના આધારે રેડ કરવામાં આવી હતી. હોટેલના ચોથા માળે રૂમ નંબર 412માં ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓ મળી આવ્યા હતા. પોલીસે તપાસ કરતાં તેમની પાસેથી બે પિસ્ટલ, એક બારબોર ગન અને કાર્તૂસ મળી આવ્યા હતા. ત્રણેય પાસેથી પિસ્ટલ, કાર્તૂસ સહિતના હથિયારો મળી આવ્યાઝડપાયેલા વ્યક્તિઓમાં અમિતકુમાર શ્રીકાંતકુમાર હિન્નરિયા (ઉંમર 27 વર્ષ, વ્યવસાય વેપાર, રહેવાસી લહાર, ભીંડ, મધ્યપ્રદેશ) પાસેથી એક પિસ્ટલ, બારબોર ગન અને 17 પિસ્ટલ કાર્તૂસ જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય વ્યક્તિ રવિ બિરેન શર્મા (રહેવાસી મોહનપુરા, લહાર, ભીંડ, મધ્યપ્રદેશ) પાસેથી એક પિસ્ટલ, 17 કાર્તૂસ અને 4 ખાલી કાર્તૂસ મળી આવ્યા છે. કુલ મળીને રૂપિયા 7,66,900નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અટકાયત કરાયેલા શખસો પાસેથી બે બંદૂકના લાયસન્સ પણ મળ્યાઆ અંગે મંજુસર પોલીસ મથકના PI વી.બી. ચૌહાણે જણાવ્યું હતું કે, આ મામલે અમે તપાસ કરી રહ્યા છીએ. આ ઇસમો પાસેથી હથિયારો સાથે કાર્તૂસ મળી છે, સાથે બે બંદૂકના લાયસન્સ પણ મળી આવ્યા છે. પોલીસ વેરીફાય કરી રહી છે બાદમાં આ મામલે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે જાણવા જોગ ગુનો નોંધ્યોઆ મામલે મંજુસર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે, આ વ્યક્તિઓ કોણ છે અને તેઓ કયા હેતુથી હથિયારો સાથે રાખીને વડોદરા આવ્યા હતા, આ હથિયારનો ઉપયોગ કયા કરવાના હતા તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
ભરૂચમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલનો આપઘાત:હેડક્વાર્ટરના રૂમમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
ભરૂચ શહેરમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લેતા પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઈ છે. ગત રાત્રિના સમયે ભરૂચ હેડક્વાર્ટર ખાતે આવેલા પોતાના રહેણાંક રૂમમાં યુવતીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આપઘાતનું કારણ હજુ અકબંધ છે. ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. બી ડિવિઝન પોલીસની મદદથી મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યો હતો. ત્યાર બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આપઘાત પાછળનું સાચું કારણ જાણવા માટે મૃતકના પરિવારજનો અને સહકર્મીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે સાંતેજ પોલીસ સ્ટેશનના ખાત્રજ-શેડફા રોડ પર કારોલી ગામના પાટીયા નજીક વોચ ગોઠવી હતી. જે દરમિયાન એક સીએનજી રીક્ષામાંથી 79 હજારની કિંમતનો આશરે 400 દેશી દારૂનો જથ્થો ઝડપી લઇ બે શખ્સોની 1.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને રીક્ષામાં મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરીની બાતમી મળીમળતી માહિતી અનુસાર, ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ સાંતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન બાતમી મળી હતી કે, એક સીએનજી રીક્ષામાં મોટા પ્રમાણમાં દારૂની હેરફેર થઈ રહી છે. જે બાતમી મુજબ આધારે પોલીસે ખાત્રજ-શેડફા રોડ પર કારોલી ગામના પાટીયા નજીક વોચ ગોઠવી દીધી હતી. 400 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસ ચોંકી ઉઠીબાદમાં બાતમી મુજબની રીક્ષા (નંબર GJ-01-TH-5078) આવતાં જ તેને આંતરીને પોલીસે તલાશી લીધી હતી. રીક્ષામાંથી આશરે 400 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે આ દરોડા દરમિયાન 79 હજારનો 396 લિટર દેશી દારૂ, સીએનજી રીક્ષા, મોબાઇલ ફોન મળીને કુલ રૂ.1.39 લાખનો મુદ્દામાલ જપ્ત કરી રીક્ષામાં સવાર બે શખ્સોની પૂછતાછ હાથ ધરી હતી. બેની ધરપકડ, બેને શોધવા ચક્રો ગતિમાન કર્યાઆ બને શખ્સો અમદાવાદના નોબલનગર વિસ્તારમાં રહેતા ગોરખનાથ ઉર્ફે મુછડ અને સરદારનગરના દશરથ ઉર્ફે પીંન્ચુ હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા ઝાકીર ઇસ્માઇલ શેખે મંગાવ્યો હતો. જેના પગલે કડીના કરણનગર પાસે કેનાલ પરથી દારૂ ભરાવનાર અજાણ્યા ઇસમ સહિત કુલ બે શખ્સોને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
રાજકોટ મહાપાલિકા દ્વારા આગામી એપ્રિલ માસના બીજા સપ્તાહથી શહેરના તમામ 18 વોર્ડમાં વસ્તી ગણતરીની કામગીરીનો પ્રારંભ કરવામાં આવનાર છે. આ પ્રક્રિયાને સુચારૂ રૂપે પાર પાડવા માટે તંત્ર દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને સંબંધિત સ્ટાફની તાલીમ પણ શરૂ કરી દેવામાં આવનાર છે. વર્ષ 2011 બાદ લાંબા સમય પછી યોજાનારી આ વસ્તી ગણતરીમાં રાજકોટ શહેરના ભૌગોલિક વિસ્તારમાં થયેલા વધારાને કારણે વસ્તીનો કુલ આંકડો 20 લાખને વટાવી જાય તેવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. બે તબક્કામાં હાથ ધરાશે વસ્તી ગણતરી ચૂંટણી શાખાના અધિકારી પ્રણય પંચાલના જણાવ્યા અનુસાર, અગાઉ 2020માં વસ્તી ગણતરી કરવાની હતી પરંતુ કોરોનાને કારણે કામગીરી થઈ નથી. જોકે હાલમાં સરકાર દ્વારા વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વસ્તી ગણતરી મુખ્યત્વે બે તબક્કામાં વિભાજિત કરવામાં આવી છે. જેનો પ્રથમ તબક્કો એપ્રિલ 2026 થી સપ્ટેમ્બર 2026 સુધી ચાલશે. આ સમય દરમિયાન 'હાઉસ લિસ્ટિંગ' એટલે કે મકાનોની યાદી તૈયાર કરવાની કામગીરી કરવામાં આવશે. આ તબક્કામાં દરેક એરિયા અને વોર્ડના નકશા તૈયાર કરી, ઘરદીઠ પ્રાથમિક વિગતો એકત્રિત કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાઉસ લિસ્ટિંગ તબક્કો પૂર્ણ થયા બાદ બીજો તબક્કો શરૂ થશે, જેમાં સત્તાવાર રીતે 'પોપ્યુલેશન એન્યુમરેશન' એટલે વસ્તીની વાસ્તવિક ગણતરી કરવામાં આવશે. આ તબક્કામાં ઘરના નંબરના આધારે દરેક વ્યક્તિની વિગતવાર માહિતી મેળવવામાં આવશે. જેમાં નવા જન્મ થયા હોય તેમજ કોઈના મૃત્યુ થયા હોય તે તમામ માહિતી આવરી લેવામાં આવશે. ગણતરીના અંતિમ ચરણમાં ખૂબ જ ટૂંકા સમયગાળામાં રખડતા-ભટકતા અને ઘરવિહોણા લોકોનો પણ સમાવેશ કરવામાં આવશે, જેથી શહેરની વસ્તીનો સાચો આંકડો સામે આવશે. 4000 થી વધુ કર્મચારીઓનો કાફલો મેદાનમાં આટલી વિશાળ કામગીરી માટે અંદાજે 4000 જેટલા કર્મચારીઓની જરૂરિયાત ઊભી થઈ છે. રાજકોટ મહાનગરપાલિકા પાસે હાલ 4500 જેટલો સ્ટાફ ઉપલબ્ધ છે, પરંતુ માત્ર મનપાના સ્ટાફથી આ કામગીરી પૂર્ણ કરવી શક્ય નહીં હોવાથી કલેક્ટર મારફત અન્ય સરકારી સંસ્થાઓની મદદ લેવામાં આવશે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મનપા હસ્તકની શાળાઓ, ગ્રાન્ટેડ શાળાઓ તેમજ વિવિધ સરકારી બેંકોના કર્મચારીઓને અને કલેક્ટર તંત્રનાં કર્મચારીઓને પણ આ ફરજમાં જોડવામાં આવશે. રાજકોટનો વધતો જતો વિસ્તાર અને વસ્તીનો ઇતિહાસરાજકોટ શહેરના ભૌગોલિક નકશામાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર ફેરફાર થયા છે. વર્ષ 1998માં રૈયા, નાનામૌવા અને મવડી જેવા વિસ્તારો ભળતા શહેરનો કુલ વિસ્તાર 104.86 ચોરસ કિમી થયો હતો. ત્યારબાદ જાન્યુઆરી 2015માં કોઠારીયા અને વાવડીનો સમાવેશ થતા તે વધીને 129.21 ચોરસ કિમી થયો હતો. છેલ્લે જૂન 2020માં મોટામૌવા, મુંજકા, ઘંટેશ્વર, માધાપર અને મનહરપુર-1 જેવા વિસ્તારો ભળ્યા બાદ હાલ રાજકોટ શહેરનો કુલ વિસ્તાર 161.86 ચોરસ કિમી પર પહોંચ્યો છે. 40 વર્ષમાં વસ્તી 4.44 લાખથી 13 લાખ પહોંચી 1981: 4.44 લાખ1991: 5.50 લાખ2001: 10.00 લાખ2011: 13.46 લાખ વર્ષ 2011ની છેલ્લી ગણતરીમાં માત્ર રૈયા, નાનામૌવા અને મવડીનો જ સમાવેશ હતો. જોકે, આ વખતે નવા ભળેલા તમામ વિસ્તારોના કારણે વસ્તીમાં મોટો ઉછાળો જોવા મળશે. અધિકારીઓના મતે, કોવિડ-19 ને કારણે 2021માં જે ગણતરી અટકી હતી તે હવે 2026-27માં થવા જઈ રહી છે, જેના કારણે દાયકાના બદલે 15 વર્ષના અંતરાલમાં વસ્તીનો આંકડો 20 લાખની સપાટી ક્રોસ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી એપ્રિલ 2026થી વસ્તી ગણતરીનો પ્રારંભ કરવામાં આવશે. વર્ષ 2011 પછી પ્રથમ વખત આટલા મોટા પાયે ગણતરી હાથ ધરવામાં આવી રહી હોવાથીતંત્ર દ્વારા હાલમાં આ કામગીરી માટે માઈક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે જેથી આગામી એપ્રિલથી કોઈ પણ અડચણ વગર ડેટા કલેક્શનની પ્રક્રિયા શરૂ કરી શકાય. આ વસ્તી ગણતરીમાં મોટામૌવા, મુંજકા, માધાપર જેવા નવા વિસ્તારોનો પ્રથમવાર સમાવેશ થશે. જેને લઈને કુલ 161.86 ચોરસ કિમીમાં ફેલાયેલા રાજકોટની વસ્તી 20 લાખને પાર થવાની શક્યતા છે.
અમદાવાદ શહેરમાં હત્યાનો બીજો બનાવ સામે આવ્યો છે. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનથી 100 મીટરના અંતરે યુવકની છરીના ઘા મારી હત્યા કરાઈ છે. ગત(21 જાન્યુઆરી) મોડી રાતે બે યુવકો વચ્ચે પબજી ગેમ રમવા બાબતે થયેલી બોલાચાલીની અદાવત રાખીને યુવકની હત્યા કરાઈ છે. ગાયકવાડ હવેલી પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. હાલ મૃતદેહ પીએમ માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
પાટણની સ્પેશ્યલ પોકસો કોર્ટના જજ બિપીનભાઈ કે. બારોટે અનિલ અમરસિંગ લુહારિયા રે.કઠલાલ તા. ખેડાને દોષિત ઠેરવીને મુખ્ય સજા તરીકે 10 વર્ષની સખ્ત કેદની સજા અને કુલે રૂ.55000નો દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સખ્ત કેદની સજા ભોગવવાનો આદેશ કર્યો હતો.આઇપીસી 363 અને 366 અંતર્ગત રૂ.5000નો દંડ અને દંડ ન ભરે તો વધુ એક માસની સજા ફટકારી હતી. ભોગ બનનારને એક લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો. આ કેસમાં સરકારી વકીલ જિતેન્દ્ર જે.બારોટે રજુઆત કરી હતી કે,જયારે ભોગ બનનાર સગીર વયની છે અને સગીરા સાથે આરોપીએ દુષ્કર્મ આચર્યુ છે. તેનાં કારણે તેને ખૂબ જ શારિરીક તકલીફોનો સામનો કરવો પડ્યો છે. જ્યારે ભોગ બનનાર ઉપર થયેલ બળાત્કારનો ગુનો પૂરવાર થતો હોય ત્યારે અદાલતે હળવું કે કુણું વલણ અખત્યાર કરવું જોઇએ નહિં. સમાજમાં ખાસ કરીને સગીર બાળાઓ સાથે પ્રેમની લાલચ આપીને ભગાડી જઇને દુષ્કૃત્યનાં કિસ્સા ખૂબ જ વધતાં હોય ત્યારે આરોપીને દાખલો બેસાડે તે રીતેની મહત્તમ સજા કરવા અને મહત્તમ વળતર અપાવવા રજૂઆત કરી હતી. પાટણની સ્પે. પોસ્કો કોર્ટનાં જજે બન્ને પક્ષો ની રજૂઆતો સાંભળી પોતાનાં 27પાનાંના ચુકાદામાં જણાવ્યુ કે, ભોગ બનનાર સગીરા હતી અને તે સંમતિ આપવાને લાયક ન હતી.તે તેનું સારૂં નરસું વિચારી શકે તેમ નહોતી. આરોપી ભોગ બનનારની ઉંમર જાણતા હોવા છતાં ભોગ બનનારને તેનાં કાયદેસરનાં વાલીપણામાંથી દૂર કરેલી છે. અને અન્ય સ્થળોએ લઈ જઈને આરોપીએ તેની સાથે દુષ્કર્મ કરેલું છે.તેથી આરોપી દયાને પાત્ર જણાઇ આવતા નથી. ચાણસ્મા તાલુકાનાં એક ગામની સગીરા અને તેની બહેન સાતેક વર્ષ પૂર્વે તેની બીજી બહેન સાથે લાકડાં લેવા ગયેલી તે પછી સગીરા ગુમ થતાં તેની શોધખોળ કરતા તેનો પત્તોન મળતાં તેમના પરિવારે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કિશોરીની શોધખોળ દરમ્યાન ચાણસ્મા તાલુકાનાં ગોરાદ રોડ પર ફાટક નજીક રીક્ષા લઇને ઉભેલા ઉપરોકત આરોપી અનીલને જોઈને પરિવારે બુમો પાડતાં તે નાસી ગયો હતો. પછી, પરિવારે કિશોરીની શોધખોળ ચાલુ રાખતાં તેનો પત્તો ન મળતાં ફરિયાદ કરી હતી. જેની તપાસ દરમ્યાન કઠલાલ ખાતેથી કિશોરી મળી આવી હતી. તેની પૂછપરછમાં તેણે આરોપી સાથે અલગ અલગ જગ્યાએ રહી હતી અને પાવાગઢમાં એક નાના મંદિરમાં આરોપીને તેને મંગળસૂત્ર પહેરાવી અને માથામાં સિંદુર ભરીને લગ્ન કર્યા હતા અને આરોપીએ તેની સાથે અનેક વાર દુષ્કર્મ આચર્યુ હોવાનું જણાવતાં તેની સામે પોલીસે પોકસોની કલમોનો વધારો કરીને અટકાયત કરી હતી. જે કેસ ચાલી જતાં કોર્ટે તેને આજે સજા ફટકારી હતી.
અમદાવાદના સાળંગપુર વિસ્તારમાં 75 વર્ષ જૂની પાણીની ટાંકી આખરે તોડી પાડવામાં આવી છે. 21 જાન્યુઆરીના રોજ વહેલી સવારે પાણીની ટાંકીનો ભાગ હિટાચી મશીન વડે નીચેના ભાગે મારી અને આખી ટાંકી ધરાશાયી કરી દેવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટાંકી ઉતારવામાં કોઈપણ જાનહાનિ ન થાય તેના માટે પોલીસ અને ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. રાત્રે 12 વાગ્યે કાલુપુર રેલવે સ્ટેશનથી સાળંગપુર તરફ અને સાળંગપુરથી પાણીની ટાંકી તરફ જવાના રોડને બંધ કરી દેવામાં આવ્યો હતો. મોડી રાત્રે 3:30 વાગ્યાની આસપાસ આખી ટાંકી ધરાશાયી કરી દેવામાં આવી હતી. હિટાચી મશીનથી નીચેના ભાગે મારી ટાંકી તોડાઈ: ડેપ્યુટી મ્યુનિ. કમિશનરઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મોડી રાત્રે સાળંગપુર પાણીની ટાંકીનો બાકીનો ભાગ તોડી પાડવામાં આવ્યો હતો. પાણીની ટાંકીની આસપાસ મોટા બેરીકેટ લગાવી દેવામાં આવ્યા હતા. પોલીસ અને ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. રાત્રે 12 વાગ્યા પછી કાલુપુર અને સાળંગપુર તરફના અવર-જવરના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા અને ત્યારબાદ સંપૂર્ણ પણે તકેદારી રાખીને પાણીના ટાંકીના નીચેના ભાગ પર હિટાચી મશીનથી ભાગને તોડી પાડવામાં આવ્યો જેનાથી આખી ટાંકી પડી ગઈ હતી. 3 વાગ્યાની આસપાસ પાણીની ટાંકી સંપૂર્ણપણે ધરાશાયીમોડી રાત્રે ત્રણ વાગ્યાની આજુબાજુ પાણીની ટાંકી સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી. જે બાદ તાત્કાલિક ધોરણે રોડ પર અવર-જવર શરૂ કરવાની હોવાના કારણે રાત્રે જ સફાઈ કામગીરી પણ શરૂ કરાવી દેવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે કાટમાળ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. મોટા પથ્થરોને હિટાચી મશીનથી તોડી અને ત્યારબાદ કાટમાળ સંપૂર્ણપણે ત્યાંથી ખસેડી લેવામાં આવશે. આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. સંપૂર્ણપણે તકેદારી રાખી અને આ પાણીની ટાંકીને તોડવામાં આવી છે.
પાટણમાં 10 દિવસ એક ટાઈમ પાણી અપાશે:પદ્મનાભ ચોકડી પાસે કેનાલમાં પાઇપ ક્રોસિંગ કામગીરી થશે
પાટણ શહેરના રહેવાસીઓને આગામી દસ દિવસ સુધી માત્ર એક જ ટાઈમ પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવશે. પાટણ નગરપાલિકાએ 23 જાન્યુઆરી, 2026 થી આ વ્યવસ્થા લાગુ કરવાનો નિર્ણય લીધો છે. જોકે, પાણી કયા સમયે આપવામાં આવશે તે અંગેની જાહેરાત હજુ કરવામાં આવી નથી. આ નિર્ણય પાટણ શહેરમાં ચાલી રહેલા જીયુડીસીના રૂ. 162 કરોડના ભૂગર્ભ ગટર અને પીવાના પાણીની પાઇપલાઇન નેટવર્કના કામગીરીના ભાગરૂપે લેવામાં આવ્યો છે. ખાસ કરીને, પાટણના પદ્મનાભ ચાર રસ્તા (ખોરસમ જંકશન) પાસે કેનાલ મારફતે સિદ્ધિસરોવર ખાતે પાણી લઈ જતી પાઇપલાઇન નાખવાની કામગીરી કરવાની છે આ કામગીરી અંતર્ગત, 23 જાન્યુઆરીથી કેનાલના નાળા નીચેથી પાઇપલાઇન પુશિંગ કરીને હાઇવે ક્રોસ કરવાનું કાર્ય શરૂ થશે. આના કારણે ખોરસમથી પાટણ આવતા નર્મદાના પાણીનો પ્રવાહ રોકી દેવામાં આવશે, જેના પરિણામે સિદ્ધિસરોવરમાં પાણીના પુરવઠાની સ્થિતિ ખોરવાઈ શકે છે. પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું કે, સિદ્ધિસરોવરમાંથી પાણીનો પુરવઠો આંશિક રીતે સ્થગિત કરવામાં આવનાર હોવાથી આગામી 10 દિવસ માટે પાટણમાં એક ટાઈમ પાણી આપવામાં આવશે.
થાનગઢમાં 260 ગેરકાયદેસર દબાણો દૂર કરાયા:નાયબ કલેક્ટરની ટીમે કરોડોની સરકારી જમીન ખુલ્લી કરાવી
ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા, થાનગઢ, ચોટીલા અને મૂળીના મામલતદારોની સંયુક્ત ટીમે થાનગઢમાં દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી હતી. 21 જાન્યુઆરી, 2026ના રોજ મોડી રાત્રે 1 વાગ્યે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત થાનગઢના સૂર્યા ચોકથી તરણેતર જવાના રસ્તાની બંને બાજુએ આવેલા સરકારી સર્વે નંબર 79, 81, 89 અને 349 પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. કુલ 231 કોમર્શિયલ દુકાનો, 7 સેનેટરી વેરના કારખાના, દુકાનોમાં બનેલી આશાપુરા હોસ્પિટલ અને 17 રહેણાંક મકાનો સહિત કુલ 260 દબાણો હટાવવાની કામગીરી ચાલી રહી છે. આ દબાણો સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે પાકા બાંધકામો કરીને કરવામાં આવ્યા હતા. થાનગઢ મામલતદાર દ્વારા દબાણકર્તાઓને 6 ઓગસ્ટ, 2025ના રોજ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ દબાણકર્તાઓએ તેનું પાલન કર્યું ન હતું, જેના પગલે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી. દબાણદારો દ્વારા કોમર્શિયલ અને રહેણાંક હેતુ માટે ઉપયોગમાં લેવાતી આ જગ્યાઓનું ભાડું ઉઘરાવવામાં આવતું હોવાનું પણ ધ્યાને આવ્યું છે, જે અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. થાનગઢ, અમરાપર અને સોનગઢ ગામની નગરપાલિકાને અડીને આવેલી આ 52-00 ગુઠા સરકારી જમીનની વર્તમાન બજાર કિંમત આશરે 210 કરોડ 26 લાખ રૂપિયા છે. ખુલ્લી થયેલી આ જમીન પર ટૂંક સમયમાં તાર ફેન્સિંગ અને જાળવણી માટેનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.
ધરમપુરના ભેંસધરામાં યુવકનો આપઘાત:પત્ની-બાળકોના વિયોગથી માનસિક તણાવમાં હતો
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ભેંસધરા ગામે 37 વર્ષીય યુવકે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. પત્ની અને બાળકો પિયર જતાં રહેવાના કારણે યુવક માનસિક તણાવમાં હતો, જેના પગલે તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભેંસધરા ગામના ચીમનભાઈ છનાભાઈ રાવતાના 37 વર્ષીય પુત્ર સુભાષ રાવતા 20 જાન્યુઆરીના રોજ કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયો હતો. પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તે મળી આવ્યો ન હતો. સ્થાનિક યુવકો અને ગામના અગ્રણીઓની મદદથી પણ સુભાષની શોધખોળ ચાલુ રહી હતી. ત્યારબાદ 21 જાન્યુઆરીના રોજ બપોરે સુભાષ ઘર નજીક આવેલી આંબાવાડીમાં ઝાડની ડાળી સાથે નાયલોનની દોરી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં પરિવારજનોએ તાત્કાલિક ધરમપુર પોલીસને જાણ કરી હતી. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે છેલ્લા બે વર્ષથી સુભાષ અને તેની પત્ની વચ્ચે પારિવારિક વિવાદ ચાલતો હતો. ઝઘડાના કારણે પત્ની બાળકો સાથે પિયર રહેવા જતી રહી હતી. એક વર્ષ પહેલાં સ્થાનિક આગેવાનોની મધ્યસ્થીથી સમાધાન થતાં પત્ની ફરી ઘરે આવી હતી, પરંતુ થોડા સમય બાદ ફરી વિવાદ સર્જાતા પત્ની બાળકો સાથે પિયર જતી રહી હતી. પરિવાર દ્વારા અનેક વખત સમજાવવાના પ્રયાસો છતાં પત્ની પરત ન ફરતા સુભાષ માનસિક તણાવમાં રહેતો હતો. પરિવારજનોએ પ્રાથમિક અનુમાન વ્યક્ત કર્યું છે કે પત્ની અને બાળકોના વિયોગના કારણે ઊભા થયેલા માનસિક દબાણને કારણે સુભાષે આપઘાત કર્યો હોઈ શકે છે. ધરમપુર પોલીસે આ ઘટના અંગે ફરિયાદ નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડ તાલુકાના નાની દાંતી દરિયા કિનારે દરિયાઈ માર્ગે થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ડુંગરી પોલીસે દમણથી બોટ દ્વારા લાવવામાં આવતો રૂ. 5.38 લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. આ કેસમાં બે આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ગત તા. 20 જાન્યુઆરી 2026ના રોજ ડુંગરી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા નાની દાંતી ગામના વાડી ફળિયા પાસેના દરિયા કિનારે બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન કિનારે લાંગરેલી એક બોટ (કોટીયું)માંથી વિદેશી દારૂનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી કુલ 1896 નંગ વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે, જેની કિંમત રૂ. 4,38,067/- આંકવામાં આવી છે. આ ઉપરાંત, દારૂની હેરાફેરીમાં વપરાયેલી બોટની કિંમત રૂ. 1,00,000/- ગણવામાં આવી છે. આમ, પોલીસે કુલ રૂ. 5,38,067નો મુદ્દામાલ કબજે લીધો છે. આ મામલે રમેશભાઈ ઉર્ફે રમેશ કેસી રવજીભાઈ પટેલ અને આશિષ ઉર્ફે સ્વામી રમેશભાઈ ઉર્ફે રમેશ કેસી પટેલ (બંને રહે. કકવાડી, વાણીયા ફળિયા, વલસાડ) નામના બે શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ કોઈપણ પાસ-પરમિટ વગર દમણથી પોતાની બોટમાં દારૂ ભરી દરિયાઈ માર્ગે વલસાડમાં ઘુસાડવાનો પ્રયાસ કર્યો હતો. ડુંગરી પોલીસે આ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા સઘન તપાસ અને શોધખોળ ચાલી રહી છે.
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ટીપી 44 સ્વામિનારાયણ મંદિર સામેના રોડ પર ઇ-કોમર્સ કંપનીના ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની સાતથી વધુ ગાડીઓ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરવામાં આવી હતી. આગ એટલી વિકરાળ હતી કે થોડા સમયમાં આખા ગોડાઉનને ઝપેટમાં લઈ લીધું હતું. ગોડાઉનના શેડનો ભાગ પણ ધરાશાયી થઈ ગયો હતો. હાલમાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું સામે આવ્યું છે. જોકે ફાયરની ટીમ દ્વારા હાલ કાટમાળ નીચે કુલિંગ કરવાની કામગીરી ચાલી રહી છે. વહેલી સવારે ઈ કોમર્સ કંપનીના ગોડાઉનમાં આગફાયર વિભાગના ડિવિઝનલ ફાયર ઓફિસર પંકજ રાવલે જણાવ્યું હતું કે, વહેલી સવારે ચાંદખેડા ટીપી 44 વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર સામેના રોડ પર કેશવબાગ તરફ જતા આવેલા ઈ કોમર્સ કંપનીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગી હતી તે અલગ અલગ ઈ કોમર્સ કંપનીઓના માલ સામાન સપ્લાય કરવા માટેનું ગોડાઉન હતું. આગના કારણે ગોડાઉનમાં રહેલો સામાન પણ બળી ગયો ગોડાઉનમાં ઇન્સ્ટાકાર્ટ કંપનીનો માલ હોવાનું જાણવા મળ્યું છે. ફાયર બ્રિગેડની સાત ગાડીઓ અને ચાર ઓફિસર વ્હીકલ સાથે તાત્કાલિક સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો. પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લીધી હતી. શેડ બનાવીને ગોડાઉન બનાવવામાં આવેલું છે, જેમાં સવારે આગ લાગવાની ઘટના બની હતી. આગના કારણે ગોડાઉનમાં રહેલો સામાન પણ બળી ગયો હતો. કાટમાળ નીચે કુલિંગ કરવાની પ્રક્રિયા શરૂગોડાઉનમાં વિકરાળ આગ લાગી હતી. જેના કારણે એક તરફનો શેડનો ભાગ ધરાશાયી થઈ ગયો હતો. શેડની નીચે પણ આગની જ્વાળાઓ અને આગ લાગી શકે તેવી સંભાવના હોવાના કારણે ત્યાં હાલ ફાયરના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી કુલિંગ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. ગોડાઉનમાં પાછળના ભાગે તપાસ કરી હતી જ્યાં ફાયર સિસ્ટમ હાલમાં લાગેલી હોવાનું ધ્યાને આવ્યું છે. ગોડાઉનના સંચાલક અથવા માલિકને બોલાવી અને આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ હોવાના અને કુલિંગ કરવાની પ્રક્રિયા ચાલુ હોવાની વિગતો મળી રહી છે.
શહેરના જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં મોડી રાતે એક પતિએ પહેલા પત્નીને ગોળી મારી હતી જે બાદ પોતે પણ પોતાના માથે ગોળી મારી આત્મહત્યા કરી છે. પતિ પત્ની વચ્ચે થયેલા ઝઘડાના કારણે જ આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. બનાવ બનતા ડીસીપી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસ દ્વારા તપાસ હાથ કરવામાં આવી રહી છે. પતિ-પત્ની વચ્ચે થયેલાં ઝઘડાએ લીધો ઉગ્ર સ્વરૂપ મળતી માહિતી મુજબ જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં ભાવનગરના યશરાજ ગોહિલ અને તેમના પત્ની રાજેશ્વરી ગોહિલ રહેતા હતા. બંનેના બે મહિના અગાઉ જ લગ્ન થયા હતા. ગત મોડી રાતે યશરાજ અને તેમના પત્ની રાજેશ્વરી વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો. ઝઘડો વધુ વધતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પતિએ પણ આપઘાત કર્યો ઝઘડો વધતા યશરાજે પત્ની રાજેશ્વરી પર હથિયાર વડે ફાયરિંગ કર્યું હતું. પત્ની પર ફાયરિંગ કરતા પત્ની ઢળી પડી હતી, જેથી યશરાજે 108ને જાણ કરી હતી. 108 પહોંચતા તબીબ દ્વારા રાજેશ્વરીને મૃત જાહેર કરવામાં આવી હતી. 108નો સ્ટાફ ઘરની બહાર નિકળતા જ યશરાજે પણ પોતાના માથે હથિયાર વડે ગોળી મારી આપઘાત કરી લીધો હતો. સમગ્ર મામલે પોલીસ તપાસ શરૂ બનાવ બનતા આસપાસના લોકો ભેગા થયા હતા. પોલીસને જાણ કરતા ઝોન 1 ડીસીપી, ક્રાઈમ બ્રાન્ચની ટીમ સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. સમગ્ર બનાવમાં દંપતીનું મોત થયું છે. પોલીસે બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. હાલ ઝઘડાનું કારણ જાણવા મળ્યું નથી, વસ્ત્રાપુર પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.
દેશમાં દર વર્ષે 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની અને 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવે છે. ભારતની આઝાદી સાથે સંબંધિત આ બંને રાષ્ટ્રીય તહેવારોનું ઐતિહાસિક મહત્વ છે. જો કે ઘણાં લોકોને સ્વતંત્રતા દિન અને ગણતંત્ર દિન વચ્ચેના તફાવતની ખબર હોતી નથી. દિવ્ય ભાસ્કરે અમદાવાદીઓને સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસમાં શું ફેર છે? 26મી જાન્યુઆરીએ ક્યા દિવસની ઉજવણી કરવામાં આવે છે? આવા સવાલો કર્યા હતા. જેમાં એક કાકાએ તો કોન્ફીડન્સથી લોચા માર્યા હતા, જ્યારે લવરમૂછીયાએ અનએક્સપેક્ટેજ જવાબ આપ્યો હતો. આ જવાબો જાણવા ઉપરની તસવીર ક્લિક કરો
25 ડિસેમ્બરના રોજ, જર્મની જઇને વસેલા ભારતીય મૂળના જાણીતા યુટ્યૂબર અને ઇન્ફ્લુએન્સર ધ્રુવ રાઠીએ યુટ્યૂબ ચેનલ પર એક નવો વીડિયો પોસ્ટ કર્યો. જેમાં તેણે જાહ્નવી, બિપાશા બાસુ, શ્રુતિ હસન, દીપિકા પાદુકોણ, શિલ્પા શેટ્ટી, કાજોલ અને પ્રિયંકા ચોપરા સહિત અનેક બોલિવૂડ કલાકારોના નામનો ઉલ્લેખ કર્યો અને દાવો કર્યો કે તેમણે કોઇ પ્રકારની પ્લાસ્ટિક સર્જરી કરાવી છે અને વારંવાર પોતાના કન્ટેન્ટ થકી વિવાદોમાં રહેતા ધ્રુવ રાઠી પર પસ્તાળ પડી. લોકોએ એના વીડિયો નીચે અને બીજી જગ્યાએ એને સખત રીતે ઝાટકી નાખ્યો. આ વિવાદને મૂકીને ધ્રુવ રાઠીની પ્લાસ્ટિક સર્જરીના દાવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો ફલાણી બોલિવૂડ કે હોલિવૂડ અભિનેત્રીઓએ પ્લાસ્ટિક સર્જરી કરાવી, બોટોક્સ ટ્રિટમેન્ટ લીધી, ફિલર લીધા, સ્કિન ટ્રીટમેન્ટ કરાવી વગેરે વાતો ચર્ચાતી જ રહેતી હોય છે. ખાસ કરીને દુનિયાભરની સ્ત્રી પછી એ કોઇપણ ઉંમરની હોય, આ વાતમાં જબરજસ્ત રસ પડે છે અને રસ કેમ ના પડે? વાત આખરે સુંદરતા અને સુંદર દેખાવા માટેની છે. સદીઓથી સૌંદર્યનું આકર્ષણસદીઓથી અલગ અલગ સંસ્કૃતિઓમાં સ્ત્રીઓ પર સુંદર દેખાવું ઇચ્છનીય રહ્યું છે. બલ્કે એના માટેનું દબાણ પુરુષ પ્રધાન સમાજમાં રહ્યું છે અને જૂના ભારતીય, જાપાનીઝ, ચાઇનીઝ, રોમન, ગ્રીક વગેરે ગ્રંથોમાં સ્ત્રીની સુંદરતા, સાજ-શણગાર અને એ દ્વારા જીતાયેલા અને લડાયેલા રાજકીય યુદ્ધો અને દાવ પેચનો ઉલ્લેખ પણ છે. માટે જ ઇજિપ્શિયન રાણી ક્લિયોપેટ્રાના સમયથી લઇને, આજની કાયલી જેનર, કેટરિના કેફ સુધી દરેકને સુંદર દેખાવું અને સૌંદર્ય ઉદ્યોગ દ્વારા પૈસા કમાવાની ઘેલછા છે. નફાકારક ઇન્ડસ્ટ્રી તરીકે ઉભરીવર્ષ 2025 માં વૈશ્વિક સ્તરે 700+ બિલિયન ડોલર રેવન્યૂ સાથે બ્યૂટી એટલે કે કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી એક વિશાળ, વિકસતી અને નફાકારક ઇન્ડસ્ટ્રી તરીકે ઉભરી આવી છે. કોસ્મેટિક ઉદ્યોગ, કોસ્મેટિક ઉત્પાદન અને વિતરણ, સ્કિન કેર, મેક અપ અને ફ્રેગરન્સ સંબંધિત ઉત્પાદનોના સમાવેશ સાથે વૈશ્વિક અર્થતંત્રની એક મહત્વપૂર્ણ ઇન્ડસ્ટ્રી તરીકે ઉભરી રહી છે અને આ ઉત્પાદનોની વર્તમાન માંગ, ઘેલછા અને માર્કેટિંગના કારણે નિષ્ણાતો માને છે કે આ ઉદ્યોગનું ભવિષ્ય ઉજ્જવળ છે. અબજો ડોલરનો ઉદ્યોગમાટે જ વિશ્વની સૌથી મોટા અને જાણીતા સૌંદર્ય ઉદ્યોગના ખેલાડીઓ લોરિયલ, એસ્ટી લોડર, કોટી, નિવિયા, શિસેડો અને ચેનલ, રેવલોન, ગુચી, ડોલચે એન્ડ ગબાના અબજો ડોલર્સ કમાય છે અને કરોડો ડોલર્સ માર્કેટિંગ, બ્રાન્ડ મેનેજમેન્ટ, એડવર્ટાઇઝમેન્ટમાં ખર્ચે છે. સોશિયલ નેટવર્ક આવ્યા પછી, ટિકટોક, ઇન્સ્ટાગ્રામ, વ્યક્તિગત વ્લોગ્સ વગેરે દ્વારા નાના, મધ્યમ કે વિશાળ કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીના ઉત્પાદનોનું વ્યક્તિગત માર્કેટિંગ અને બ્રાન્ડ એમ્બેસેડર બનીને લાખો ઈન્ફ્લુએન્સર ઝીરો રોકાણ વગર એન્જિનિયર કે ડોક્ટર કરતા ઘણું વધારે કમાય છે. ઉપરાંત આ સૌંદર્ય ઉદ્યોગ લોકો ને બાહ્ય સુંદરતા બક્ષવા સાથે અંદાજે 4.5 મિલિયન(અમેરિકાના આંકડા) લોકો ને રોજગારી આપે છે. અને આ આંકડાઓ ઘણી બધી અલગ અલગ ક્ષેત્રની સેલીબ્રિટીઝને કોસ્મેટિક ઉદ્યોગમાં રોકાણ માટે ખેંચી લાવી છે જેમ કે કાયલી જેનર, કેટરિના કેફ, જેનિફર લોપેઝ, રિહાના વગેરે. પુરુષો માટેની વિશેષ પ્રોડક્ટ્સ, ડિજિટલ ઇન્ડસ્ટ્રી અને ટકાઉ/કુદરતી વસ્તુઓના વપરાશ પર ધ્યાન કેન્દ્રિત કરીને આ સૌંદર્ય ઉદ્યોગ અને જેનો વિકાસ અને માંગ કોરોના વાયરસ વખતે પણ થંભ્યો નહોતો, સતત આગળની દિશામાં ગતિ કરી રહ્યો છે અને એમાં એશિયા પેસિફિક અગ્રણી છે. લિપસ્ટિક ઇફેક્ટ શું છે?કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીમાં 'લિપસ્ટિક ઇફેક્ટ' નામની એક ઘટનાનો ઉલ્લેખ વારંવાર થાય છે. જ્યાં ગ્રાહકો આર્થિક મંદી દરમિયાન પણ લિપસ્ટિક જેવી નાની લક્ઝરી વસ્તુઓ પર ખર્ચ કરવાનું ચાલુ રાખે છે. આ વલણ સૂચવે છે કે નાણાકીય અનિશ્ચિતતાનો સામનો કરતી વખતે ગ્રાહકો મોટા ખર્ચ છોડી શકે છે પરંતુ આરામ, સંતોષ, સુંદરતા આપતી સસ્તી લક્ઝરી વસ્તુઓમાં ખર્ચ કરવાનું ચૂકતા નથી. અને આ 'લિપસ્ટિક ઇફેક્ટ' સૌંદર્ય ઉદ્યોગનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ છે એ ભાખી આપે છે. કહે છે કે પ્રેમ આંધળો નથી હોતો માટે સુંદર દેખાવ! અને આથી જ કોરોના મહામારી, સ્ત્રીઓનું વસ્તુકરણ, રંગ ભેદ, એનિમલ ટેસ્ટિંગ, અને આ ઉદ્યોગ દ્વારા પર્યાવરણને થતા નુકસાન જેવા વિવાદો છતાં ટકી રહી છે અને ટકી રહેશે!
એસ.ટી.ને મોબાઇલ એપથી ટિકિટ વેચાણમાંથી 116 કરોડની આવક
ઓનલાઈન ટિકિટ લેવાનું વધતું વલણ ગત વર્ષના છેલ્લા ચાર મહિનામાં એપ દ્વારા ૨૪ લાખ ટિકિટો વેચાઈ મુંબઇ - કાયમ આર્થિક કટોકટીનો સામનો કરતા મહારાષ્ટ્ર એસટી તંત્રને મોબાઇલ એપથી બસની ટિકિટના વેચાણમાંથી ૧૧૬ કરોડ રૃપિયાની ઘીંગી આવક થઇ છે. મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને બસના પ્રવાસીઓની સગવડ માટે શરૃ કરેલી મોબાઇલ એપને જબ્બર પ્રતિસાદ મળ્યો છે. ૨૦૨૫માં સપ્ટેમ્બરથી ડિસેમ્બર દરમ્યાન એપના માધ્યમથી ૨૪.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
જેલના ભજીયાનો ઝાયકેદાર સ્વાદ તમે એકવાર તો માણ્યો જ હશે. જ્યાં જેલના કેદીઓ એવા ભજીયા બનાવે છે કે લોકો આવતાની સાથે જ મિનિટોમાં ઝાપટી જાય છે. જો કે હવે તમે જેલના ભજિયાની લિજ્જતની સાથો સાથ કેદીઓના હાથથી પિરસાતી થાળીને પણ માણી શકશો. એટલું જ નહીં ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ સહિતના સ્વાતંત્ર્યસેનાનીઓના જીવનની ઝાંખીને પણ નિહાળી શકશો. અમદાવાદના સુભાષ બ્રિજ પાસે આવેલા પ્રખ્યાત જેલ ભજીયા હાઉસને હવે એક હાઇટેક હેરીટેજ લૂક આપવામાં આવી રહ્યો છે. ગાંધી આશ્રમથી થોડા જ અંતરે આવેલી સાબરમતી જેલમાં કેદીઓ દ્વારા ભજીયા બનાવવામાં આવે છે. શરૂઆતમાં આ ભજીયા હાઉસ સુભાષ બ્રિજના ડાબી બાજુના છેડે એટલે કે આરટીઓની સામે શરૂ થયું હતું. રસ્તા પહોળા થતાં તેને આરટીઓ કચેરીના કોર્નર પર અને ત્યારબાદ થોડે દૂર પાકા મકાનમાં ખસેડવામાં આવ્યું હતું. અહીં કેદીઓ દ્વારા બનાવવામાં આવતા ભજીયા એટલા સ્વાદિષ્ટ હોય છે કે ત્યાં મોટી મોટી લાઇનો લાગી જાય છે. દિવ્ય ભાસ્કરે નવા બની રહેલું હાઇટેક જેલ ભજીયા હાઉસ કેવું હશે તે વિશે વધુ જાણવા માટે જેલ સુપરિન્ટેન્ડન્ટ ગૌરવ અગ્રવાલ સાથે ખાસ વાતચીત કરી હતી. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા ₹2.94 કરોડના ખર્ચે 425 ચોરસ મીટરમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને બે માળ મળી કુલ ત્રણ માળનું બાંધકામ થશે. બેઝમેન્ટનો ઉપયોગ સ્ટોર તરીકે થશે, જ્યારે 2 હજાર ચોરસ ફૂટના ગ્રાઉન્ડ ફ્લોર પર જેલ ભજીયા હાઉસ અને બેઠક વ્યવસ્થા હશે. તેની બાજુમાં કેદીઓ દ્વારા બનાવવામાં આવતી બેકરી આઈટમ્સ અને ફર્નિચર જેવી વસ્તુઓ માટે સોવેનિયર શોપ તેમજ પ્રદર્શન હોલ બનશે. પ્રથમ માળે હાઈટેક કિચન સાથે રેસ્ટોરન્ટ બનશે, જ્યાં એકસાથે 70થી વધુ લોકો બેસીને ગાંધી થાળીની લિજ્જત માણી શકશે. બીજા માળે મ્યુઝિયમ બનાવવામાં આવશે, જેમાં ગાંધીજી અને સરદાર પટેલ સહિતના સેનાનીઓની જેલવાસ સમયની વસ્તુઓ મૂકાશે. બિલ્ડિંગમાં લિફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ હશે. સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વકક્ષાનું બનાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સપનું ગાંધી આશ્રમને પણ વિશ્વકક્ષાનું બનાવવાનું છે. આ સ્વપ્નને સાકાર કરવા માટે જ ગાંધી આશ્રમ સામે રહેતા અંતેવાસીઓના પરિવારજનોને યોગ્ય વળતર ચૂકવવાની અથવા અન્યત્ર ઘર ફાળવવાની કામગીરી હાથ ધરાઈ હતી. ગાંધી આશ્રમની મુલાકાતે આવનારા મુલાકાતીઓ ગાંધીજી અને સરદાર વલ્લભભાઇ પટેલથી લઇને અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓની સાબરમતી જેલવાસ દરમિયાનની રહેણીકરણી તથા તેમણે જેલમાં કરેલી કામગીરી અને તે સમયની વસ્તુઓ નિહાળી શકે, અને તેમના વિશે માહિતગાર થાય તેવા ઉમદા હેતુથી સુભાષબ્રિજના છેડે આવેલા જૂના જેલ ભજીયા હાઉસના સ્થાને નવા રૂપરંગ સાથે નવું ભજીયાં હાઉસ બનાવવામાં આવી રહ્યું છે. હાલ ગાંધી આશ્રમનું રિડેવલપમેન્ટ થઈ રહ્યું હોવાથી અહીં આવનારા લોકો ગાંધીજી અને સરદાર પટેલ સહિતના સ્વાતંત્ર્ય સેનાનીઓ જેઓ સાબરમતી જેલમાં રહ્યા હતા. તેમની વસ્તુઓ જોઇ શકે તેવો હેતુ છે. આથી ભજીયા હાઉસને પણ પ્રવાસન સર્કિટમાં મૂકવામાં આવશે. મુલાકાતીઓ સ્વાતંત્ર્ય સેનાનીઓની જેલવાસ દરમિયાનની પ્રવૃત્તિઓ જાણી શકે તે માટે જુન-2024માં જૂનું ભજીયા હાઉસ તોડીને નવું બિલ્ડિંગ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. જે અંતર્ગત હાલ ત્રણ માળનું હાઈટેક હેરિટેજ બિલ્ડિંગ બની રહ્યું છે. આ અંગે જેલ સુપરિન્ટેન્ડન્ટ ગૌરવ અગ્રવાલે જણાવ્યું હતું કે, આરટીઓ સર્કલ પરનું જૂનું ભજીયા હાઉસ તોડીને ત્રણ માળનું નવું બિલ્ડિંગ બનાવી રહ્યા છીએ. ગ્રાઉન્ડ ફ્લોર પર ભજીયા વેચાણ અને સોવેનિયર શોપ હશે, જ્યાં કારપેન્ટરી અને વીવીંગ જેવી જેલની પ્રોડક્ટ્સ મળશે. ફર્સ્ટ ફ્લોર પર રેસ્ટોરન્ટમાં ગાંધી થાળી પીરસવામાં આવશે, જ્યારે બીજા માળે મ્યુઝિયમમાં ગાંધીજીના જીવન સંબંધિત ચરખા, પત્રો અને વાસણો મૂકાશે. વધુમાં તેમણે કહ્યું કે, સાબરમતી જેલ સાથે ગાંધીજીનો અતૂટ સંબંધ છે. આ સંબંધને આગળ વધારવા માટે રાજ્યના જેલોના ડીજી કે.એલ.એન. રાવને વિચાર આવ્યો હતો કે ભજીયાં હાઉસની સાથે એવી વ્યવસ્થા ઊભી કરવી જે યાદગાર બની રહે. અહીં કેદીઓની પ્રોડક્ટ્સના વેચાણ સાથે ગાંધીજીની સાદા જીવનની વિચારધારાને પ્રોત્સાહન અપાશે. ગાંધી આશ્રમ જેવો પ્રેરણા સ્ત્રોત જ્યારે સર્કિટ તરીકે ડેવલપ થશે, ત્યારે મુલાકાતીઓ ગાંધીજીના જીવનનું એક નવું પાસું નિહાળી શકશે. જેલ ભજીયા હાઉસનો ઇતિહાસ 1997માં જેલ સત્તાવાળાએ આરટીઓ સર્કલ પાસે એક જેલ કેદીને જગ્યા ફાળવી હતી જે ફરસાણ બનાવવાનું જાણતો હતો અને પ્રાયોગિક ધોરણે ભજીયાનું વેચાણ શરૂ કર્યું હતું. તે સમયે જેલના ડિરેક્ટર જનરલ વિજય સિંહ ગુમાન હતા. તે જેલની મિલકત પરના એક નાના રૂમમાં શરૂ થયું હતું. આઉટલેટને સારો પ્રતિસાદ મળ્યો અને તેથી ગ્રાહકો માટે ટેબલ અને ખુરશીઓ સાથેનો શેડ બનાવવામાં આવ્યો. દુકાનને સારો પ્રતિસાદ મળવા લાગ્યો, તેથી દુકાનમાં 8-10 વધુ કેદીઓને કામ પર રાખવાનું શરૂ કર્યું. આ જેલના ભજીયાનો ઝાયકો એવો હતો કે ધીરે ધીરે ગુજરાતભરમાં પ્રખ્યાત થઇ ગયા.
અમે બંને બેઠા ને વાતો ચાલુ કરી. વાતો કરતાં કરતાં અચાનક એને શું ભૂત ચડ્યું કે અચાનકથી એણે પોતાની કમરમાં ભરાવેલો છરો કાઢી મને મારવાની ટ્રાય કરી. સદનસીબે બચી ગયો. ફરી બીજી વાર મારવાનો પ્રયત્ન કર્યો. હું ફરી છટકી ગયો, પણ આ વખતે મારી બંને આંગળીઓ વચ્ચે છરી ઘૂસી અને લોહી ચાલુ થયું. છતાં એ હજુ શાંત પડવા તૈયાર જ નહોતો. હવે એક જ રસ્તો હતો, એના હાથમાંથી છરી આંચકી લઉં. મામલો ધીમે ધીમે ગરમાઈ ગયો ને જોતજોતાંમાં તો મારાથી છરો એના જ શરીરમાં ઘૂસી ગયો ને ત્યાં ને ત્યાં… દોસ્તી ઇમ્તિહાન લેતી હૈ, દોસ્તોં કો બંદીવાન બનાતી હૈ શબ્દો છે, મેહોણી વિજયસિંહના… સાબરમતી જેલના કેદીઓ પરની દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ ‘બંદીવાન’ના ગઇકાલના એપિસોડમાં આપણે વાંચી આજીવન કેદની સજા ભોગવી રહેલા બે કેદીઓની કહાની. હવે આજે વાત કરીશું બે એવા કેદીઓની, જેઓ આજે એમના મિત્રોના કારણે જેલમાં સજા ભોગવી રહ્યા છે. ‘વ્યવહારે કાગડો કાળો’ એ કહેવત ખરેખર દરેકે સ્વીકારવી જ જોઈએ, નહિતર બે સારા મિત્રોની પણ શું હાલત થાય છે એ વાત આજે જાણીશું, વિજયસિંહ અને મહેબૂબ પાસેથી… *** સાબરમતી જેલનું ફૂડ, કોઈ રેસ્ટોરાંને પણ આંટે એવું!એ પહેલાં આજે પણ ગુજરાતની સૌથી મોટી એવી અમદાવાદની સાબરમતી જેલનું એક ચક્કર મારીએ. આગળના ત્રણ એપિસોડમાં આપણે જેલની રચના, કેદીઓની રહેવાની વ્યવસ્થા અને જેલની અંદર થતાં કામકાજ તથા જેલની પેમેન્ટ સિસ્ટમ વિશે સમજ્યા. આજે વાત કરીશું જેલના ભોજનની અને કેદીઓની મુલાકાત સિસ્ટમની. જેલનું જમવાનું હંમેશાં વગોવાયેલું છે. આપણે ફિલ્મોમાં અને વાતોથી એટલું ખરાબ અનુમાન લગાવી લીધું છે કે, કોઈ રોટલી ન તૂટે તો પણ એવું કહીએ છીએ કે, ‘આના કરતાં તો જેલની રોટલી સારી હોય.’ પરંતુ જ્યારે અમે જેલની અંદર જઇને ખરેખર જોયું ત્યારે થયું કે, સાબરમતી જેલ ફક્ત ‘જેલનાં ભજીયાં’ જ કેમ વેચે છે? રેસ્ટોરાં કેમ ઓપન નથી કરતાં!? સવારમાં રોજ સાતેસાત દિવસ અલગ અલગ નાસ્તો, બપોરે શાક-રોટલી સાથે દાળ-ભાત, એમાં ય સાથે ફાસ્ટફૂડ જેવી આઈટમ પણ હાજર. અને તમામ વાનગીઓની ચોખ્ખાઈ અને સ્વાદમાં કોઈ બાંધછોડ નહીં. કેદીઓ માટે બ્રેકફાસ્ટ, લંચ, ડિનર અને સાથે મંચુરિયન, સમોસાની જ્યાફતબટ એક્ચ્યુલી, બધું ફ્રી નહીં હોં! સવારે બ્રેકફાસ્ટમાં બટાકા પૌવા, ઉપમા જેવો પૌષ્ટિક નાસ્તો ને સાથે ચા. બપોરે જમવામાં રોજે અલગ અલગ શાક-રોટલી, દાળ-ભાત અને સાંજે પણ રોજ અલગ અલગ પેટ માગે એવી વાનગીઓ. બટ હવે આમાં પૈસા ક્યાં આવ્યા? તો આ બધું કાઉન્ટર ઉપર ફ્રી જમવાનું, પણ આ સિવાય સાથે હોય એક મીઠાઇ અને મંચુરિયન, સમોસા જેવી ચટાકેદાર વાનગીઓ; જો એ વાનગીઓ કેદીઓએ જમવા સાથે ખાવી હોય તો એના પૈસા આપવાના. પરંતુ એ પૈસા જેલમાં રહીને, કામ કરીને કમાયેલા હોય તેમાંથી જ ચૂકવવાના. અને એ પૈસા વાપરવામાં પણ ધ્યાન રાખવું પડે. કેમ કે, મહિનાની ચાર-પાંચ હજાર રૂપિયાની કમાણીમાંથી કેદીઓએ આખો મહિનો સર્વાઇવ પણ કરવાનો છે. જમવાની સાથે તેલ, સાબુ, શેમ્પૂ જેવી આઈટેમ પણ આમાંથી જ ખરીદવાની. કૂપનઃ જેલની પેરેલલ કરન્સીપણ એ પૈસામાંથી કશું બચે તો? જો એ કમાણીમાંથી કેદીઓ પૈસા બચાવે તો જ્યારે પેરોલ પર બહાર જાય ત્યારે અથવા તો જેલમાંથી મુક્તિ મળે ત્યારે રૂપિયામાં કન્વર્ટ કરી લઈ જઈ શકે. દર મહિને જ્યારે જ્યારે ઉપાડ મળે ત્યારે કેદીઓએ કહેવાનું કે એમને કેટલા રૂપિયા જોઈએ છે, જો ચાર હજારનાં કૂપન લઈ લીધા તો વાત પૂરી. એક વાર કૂપન મળ્યા પછી એના રૂપિયા કન્વર્ટ ન થાય, અને એ કૂપન બીજા મહિને યુઝ પણ ન થાય. પરંતુ જો ચારમાંથી 3 હજારનાં કૂપન લે અને એક હજાર જમા રખાવે, તો એ જમા રહેલા પૈસા બહાર જાય ત્યારે રૂપિયા તરીકે મળી શકે. પરિવાર સાથે રૂબરૂ મુલાકાત, વીડિયો કૉલથી પણ વાત થાયહવે વાત કરીએ મુલાકાત સિસ્ટમની. આજીવન કેદ અને લાંબાં વર્ષોની સજા ભોગવી રહેલા કેદીઓને પોતાના પરિવાર સાથે દર અઠવાડિયે મુલાકાતની છૂટ. બડા ચક્કર અને છોટા ચક્કરના કેદીઓ જેલના જ મુલાકાત રૂમમાં પોતાના પરિવારને મળી શકે. પરંતુ જે કેદીઓનો પરિવાર અમદાવાદથી દૂર હોય અને દર અઠવાડિયે આવી શકે એમ ન હોય તો એમના માટે હવે જમાના પ્રમાણે વીડિયો કૉલની પણ સુવિધા આવી ગઈ છે. કેદી જેલના કમ્પ્યૂટરથી વીડિયો કોલ કરી ઘરે વાત કરી શકે. પ્લસ, અઠવાડિયામાં ત્રણ વાર કેદી મોબાઈલ ફોન (ઓડિયો કૉલ) પર પોતાના પરિવાર સાથે વાત કરી શકે. ઇન શોર્ટ, તમે હવે સાબરમતી જેલને ઓલમોસ્ટ સમજી ગયા છો. હજુ જેલમાં કેદીઓને મળતી અફલાતૂન સુવિધાઓ વિશે જાણવાનું બાકી છે, જે હવે કાલના પાંચમા અને છેલ્લા એપિસોડમાં જોઈશું. આજે હવે કેદીઓ સાથે મુલાકાત કરીએ. *** ‘આ ભાઇને તો ક્યાંક જોયેલા છે!’ચહેરા પર સ્મિત સાથે રૂમમાં પ્રવેશ્યો વિજય. અમારી સામે બેસતાંવેંત કહ્યું, ‘કેમ છો?’ વિજયના અવાજ પરથી તે એકદમ રિલેક્સ્ડ લાગતો હતો. અમે સસ્મિત પ્રત્યુત્તર આપ્યો, ‘એકદમ મજામાં, ભાઈ.’ચહેરા પર વધુ પહોળા સ્માઇલ સાથે વિજય કહે, ‘બોલો બોલો સાહેબ, શું પૂછવું છે?’ બે સેકન્ડ વિચારતાં અમને લાગ્યું કે, આમને તો ક્યાંક જોયેલા છે. અને જોયેલા જ હતા, કેમ કે વિજયસિંહની ડ્યૂટી સાબરમતી જેલની અંદર જેલ સુપ્રિન્ટેન્ડન્ટ IPS ગૌરવ અગ્રવાલની ઓફિસ પાસે જ. કમ્પ્યૂટર શીખેલો વિજય અહીં વહીવટી કામમાં મદદ કરે છે. ઇસ્ત્રી કરેલો સફેદ કુરતો-પાયજામો, માથે પીળી ટોપી, દેખાવે શાંત, એજ્યુકેટેડ પર્સનાલિટી, ખુશમિજાજ વિજયસિંહ સાથે અમે વાત માંડી. 33 વર્ષનો વિજય મહેસાણાના વીજાપુર પાસેના એક ગામનો રહેવાસી. ઘરે પિતા ડ્રાઇવિંગનું કામ કરે. વિજય, ફાયનાન્સની એક કંપનીમાં કામ કરી વાઈફ અને બે દીકરીઓને સાચવે. મોટી દીકરી નવ વર્ષની ને નાની સાત વર્ષની! જો કે છેલ્લાં સાતેક વર્ષથી વિજયનું ફેમિલી ગાંધીનગર શિફ્ટ થઈ ગયું છે, પણ ગુનાનું સ્થળ મહેસાણાનું એ ગામ જ. વાત છે, આજથી 7 વર્ષ પહેલાંની! લોન પે લોન પે લોનશું થયું હતું એ દિવસે? વિજયે વાતની શરૂઆત કરી, ‘ગામમાં મારો એક ખાસ ક્ષત્રિય મિત્ર. અમે બંને ભાઈઓની જેમ જ રહેતા. એનો પરિવાર એ મારો પરિવાર, એવો જિગરી. માણસ અને મિત્ર બહુ સારો, પણ પૈસાની ખેંચમાં આવી જતાં એને લોન લેવાની જરૂર પડી. હું ફાઇનાન્સ કંપનીમાં જોબ કરું એટલે મારા કોન્ટેક્ટથી મેં જ એને બે લોન પણ અપાવી. પણ એટલેથી એનું ન વળ્યું ને વધુ પૈસાની જરૂર પડી. એકાદ વર્ષ થયું ત્યાં ફરી વધુ પૈસાની જરૂર પડી. આ વખતે અમે એક નેશનલ બેન્કમાં એની લોન માટે એપ્લાય કર્યું. પણ ભાઈનો સિબિલ (CIBIL) સ્કોર ઘણો ઓછો, એટલે આ વખતે લોન ન મળી.’ ‘તારે લીધે જ મને લોન નથી મળતી’વિજયે વાત ચાલુ રાખી, ‘હવે એ વાતનો ગુસ્સો એને મારા પર આવ્યો. એને થયું કે, હું જ લોન નથી કરાવવા માગતો. જે વાતમાં રત્તીભરનું સત્ય નહોતું. પણ એના મનમાં વહેમ ઘૂસી ગયો. મારી સાથે થોડું વર્તન બગડ્યું. મેં એને ઘણું માનવવાની પણ ટ્રાય કરી, પણ એ ન માન્યો. એમાં એક દિવસ સાંજે એનો મને ફોન આવ્યો કે, નવરો હોય તો આવ બેસવા. મને તો હાશકારો થયો કે, ચલો ભાઈ માની ગયો. એકવાર મળીને બધી વાત ક્લિયર કરી દઈએ. મેં કહ્યું કે, કોઈ વાંધો નહીં, નોકરીએથી ઘરે આવું એટલે સાંજે મળીએ. હું મળવા ગયો.’ ‘એણે કમરમાં ભરાવેલો છરો કાઢ્યો’રાતનો 8:30 વાગ્યાનો સમય ‘અમે બંને બેઠા ને વાતો ચાલુ કરી. થોડી વાર ફેમિલીની તો, થોડી નોકરી-ધંધાની. વાતો કરતાં કરતાં એને ખબર નહીં શું ભૂત ચડ્યું, અચાનકથી ટૉપિક બદલી લોન પર લઈ આવ્યો કે, તું જ નથી ઈચ્છતો કે મારી લોન પાસ થાય. મેં સમજાવવા પ્રયત્ન કર્યો, પણ વાત શાંત પડવાને બદલે આગળ વધતી જતી હતી. મામલો ગરમ થતો ગયો ને ધીમે ધીમે એ મને મારવા પર આવી ગયો. મેં ઘણો સમજાવવા પ્રયત્ન કર્યો, ઘણો શાંત પાડવાની ટ્રાય કરી, પણ ભાઈ કોઈ રીતે ઠંડો થતો જ નહોતો. એમાં હાથાપાઈ થતાં થતાં અચાનકથી એણે કમરમાં ભરાવેલો છરો કાઢ્યો.’ ‘મારાથી એને છરો વાગી ગયો ને…’હેં? પછી શું થયું? વિજય કહે, ‘છરો કાઢી એણે મને મારવાની ટ્રાય કરી. હું સચેત હતો તો સદનસીબે બચી ગયો. ફરી બીજી વાર મારવાનો પ્રયત્ન કર્યો. હું ફરી છટકી ગયો, પણ આ વખતે મારી બંને આંગળીઓ વચ્ચે છરી ઘૂસી અને લોહી ચાલુ થયું. છતાં એ ભાઈ હજુ શાંત પડવા તૈયાર જ નહોતો. હવે એક જ રસ્તો હતો, એના હાથમાંથી છરી આંચકી લઉં. મામલો ધીમે ધીમે ગરમાઈ ગયો ને જોતજોતાંમાં તો મારાથી છરી એને જ વાગી ગઈ. પણ…’ ‘હા, મેં જ આ મર્ડર કર્યું છે’પણ શું? ઊંડી વાગી? વિજય કહે, ‘હા, સેલ્ફ ડિફેન્સમાં મારાથી છરી એના ફેફસાંમાં ઘૂસી ગઈ ને ત્યાં ને ત્યાં લોહીની નદી ચાલુ થઈ. ઘટના સ્થળ પર જ મારા ભાઈ જેવા ભાઈબંધનો જીવ જતો રહ્યો. પછી તો મેં જ અમારા વિસ્તારના PI (પોલીસ ઇન્સ્પેક્ટર)ને ફોન કર્યો કે સાહેબ આવું થઈ ગયું છે. હું અહી જ છું, તમે આવી જાઓ. પોલીસે આવી ત્રણ જણા ઉપર FIR કરી; હું, મારા પપ્પા ને મારો ભાઈ. પછી જ્યારે જ્યુડિશિયલ કોર્ટમાં કેસ ચાલ્યો તો, મેં જ સામેથી કહી દીધું કે, હું કબૂલું છું કે આ મર્ડર મારાથી થયું છે, મારા પપ્પા અને ભાઈ નિર્દોષ છે. બસ, પછી તો થોડો ટાઈમ ત્યાંની જેલમાં રહ્યો. બાદમાં ત્રણ વર્ષ મહેસાણા ડિસ્ટ્રિક્ટ જેલમાં અને હવે અત્યારે સાબરમતી જેલમાં આજીવન કેદની સજા ભોગવું છું.’ ‘પેરોલ પર ઘરે ગયો, ને એમાં દીકરાનો જન્મ થયો’પરિવાર અહીં મળવા આવે છે? વિજય કહે, ‘હા, પહેલાં દર અઠવાડિયે મળવા આવતા, પણ હવે એમને ધક્કા નથી ખવડાવતો, ના પાડુ છું. હવે જો કે એક દીકરો પણ છે નાનો, એટલે બધાએ ક્યાં આવવું?’‘પણ તમારે તો બે દીકરીઓ જ હતી ને? મારે સાંભળવામાં ભૂલ થઈ?’ અમે પૂછ્યું;‘ના ના, હું બહાર હતો ત્યારે બે જ દીકરીઓ હતી, પણ પછી આજીવન કેદના કેદીઓને પેરોલ રજા મળે, એમાં જ્યારે બહાર ગયો હતો ત્યારે મારા ઘરે દીકરાનો જન્મ થયો ને હવે ઘરે ત્રણ ભૂલકાંઓ છે.’ દીકરાની વાત કરતાં જ વિજય એકદમ ખુશખુશાલ થઈ ગયો. ‘એક ક્ષણના ઉશ્કેરાટમાં બે પરિવારે એમના દીકરા ખોયા’મર્ડર થઈ ગયા પછી મગજમાં શું ચાલતું હતું? વિજય કહે, ‘કશું જ નહીં. કોઈ ઇરાદો જ નહોતો. મર્ડર થઈ ગયા પછી તો મને પણ પસ્તાવો થયો અને ત્યાં જ દુઃખી થઈને બેઠો હતો. મારી નજર સામે મારા ભાઈ જેવા ભાઈબંધના શરીરમાંથી લોહીની નદી વહેતી હતી ને એનો જીવ ગયો હતો. પણ અમે બંને ક્ષત્રિય, એટલે વાતોવાતોમાંથી ઉશ્કેરાટમાં આ પગલું ભરાઈ ગયું. હજુ પણ બહુ જ પસ્તાવો થાય છે, કેમ કે એનો પરિવાર પણ મારા પરિવાર જેવો હતો. એ બે મિનિટના ઝઘડામાં બંનેના પરિવાર વિખેરાઈ ગયા. બંને પરિવારે દીકરાઓ ખોયા, એનો જીવ ગયો ને હું આજીવન જેલમાં પડ્યો.’ ‘એવું લાગે છે કે, એ ટાઈમે ક્રાઇમ થતાં અટકી શક્યો હોત?’‘શક્ય જ નહોતું ને, પ્લાનિંગ હોય તો કશુંક રોકી શકીએ. આ તો એક જ મિનિટમાં છરી ભોંકાઈ ગઈ ને તાત્કાલિક જ ઘટનાસ્થળે એનો જીવ જતો રહ્યો.’‘પાછળથી પસ્તાવો થાય એના કરતાં ગુસ્સા પર કંટ્રોલ રાખો’એમનો પરિવાર કે ગામના લોકો શું કહે છે? વિજય કહે, ‘કશું જ નહીં. કોઈ કશું નથી કહેતું, મારી છાપ બહુ જ સારી હતી. એનો પરિવાર પણ મારા પરિવાર જેવો હતો. એ લોકો મને પણ દીકરો જ માને છે અને સમજે છે કે ત્યારે શું થયું હતું. રહી વાત મારી તો, મારા દાદા પણ PI હતા, મેં B.A. કોલેજ પણ કરેલી છે અને સારી એવી જોબ કરતો હતો. પણ આ બધુ એક્સિડેન્ટલ હતું. હવે તો બસ એક જ આશા છે કે, જલ્દી બહાર નીકળીશ અને જોબ કરી મારો પરિવાર સાચવી લઇશ.’ વિજય આગળ કહે, ‘હું તો લોકોને પણ એ જ સંદેશો આપું છું કે, બને ત્યાં સુધી ઝઘડાથી દૂર રહો, કેમ કે આવેશમાં ભરાયેલા પગલાંથી તમારો પરિવાર અને જીવન બંને વિખેરાઈ જશે. પાછળથી પસ્તાવો થાય એના કરતાં ગુસ્સા પર કંટ્રોલ કરવો વધુ સારો.’ *** ફક્ત એક મિનિટનો ગુસ્સો અને જીવન વેરવિખેરજેલમાં પણ સ્ટાફ અને તમામ લોકો સાથે વિજયસિંહને એકદમ સારાસારી. દરેક આવતા-જતા લોકો વિજયને પ્રેમથી મળતા જાય અને બોલાવતા જાય. અમારી ચાલુ વાતચીતે પણ બે જણા વિજયને ફાઈલો માટે કશુંક પૂછવા આવ્યા હતા. ક્લાર્ક ઓફિસમાં કામ કરતા વિજયની શિસ્ત જોઈને ફરી એકવાર વિચાર આવે કે, ફક્ત એક મિનિટનો ગુસ્સો અને મિત્રતામાં પૈસા વચ્ચે આવતાં વ્યક્તિનું જીવન કેટલું વિખેરાઈ જાય છે. આજના બીજા કેદીનું પણ કશુંક એવું જ છે. ચહેરા પર એ જ સ્મિત સાથે વિજયસિંહ ઊભો થયો ને રૂમની બહાર નીકળી ફરી કામ પર લાગી ગયો. વિજયનું લખાણ હું પૂરું કરતો જ હતો ત્યાં પાછળથી ઘેઘૂર અવાજ આવ્યો, ‘મને બોલાવ્યો?’ સાડા છ ફૂટના મહેબૂબના ચહેરા પર ક્યારેય સ્માઇલ ન આવેઅંદાજે 6.5 ફૂટ જેટલી પહાડી હાઇટમાં સફેદ કુરતાવાળા કેદીએ એન્ટ્રી લીધી. ભરાવદાર શરીર, શ્યામ ચહેરો ને લાંબી દાઢી, હડપચી અને હોઠ વચ્ચે દાઢીનો થોડો શેપ ને ભરાવદાર અવાજ. ચહેરો હંમેશાં ગુસ્સામાં હોય એવો ને એવો. વચ્ચે ક્યારેક ક્યારેક થોડું હસે તો પણ માઇક્રો સેકન્ડમાં ફેક સ્માઇલ આપી ફરી જેમનો તેમ ગુસ્સૈલ ચહેરો કરી દે. નામ? મહેબૂબ! મહેબૂબ રૂમમાં આવ્યો, ટેબલ પર બેઠો ને અમે વાત ચાલુ કરી. દોસ્તી વચ્ચે છ લાખ રૂપિયા આવ્યા31 વર્ષનો મહેબૂબ મહેસાણાના ખેરાલુનો રહેવાસી. બે પરિણીત ભાઈઓ અલગ રહે ને બહેન પણ સાસરે, એટલે ફક્ત આઠ ધોરણ ભણેલો મહેબૂબ ઈંટોનો ધંધો કરે ને બાકી મજૂરી કરી મમ્મી-પપ્પાને સાચવે. મહેબૂબે વાતની શરૂઆત કરી, ‘આજથી દસ વર્ષ પહેલાંની વાત છે. મારા ગામના જ એક મિત્ર સાથે મને ભાઈબંધી ભારે પડી. કટકે કટકે કરી એ મારી પાસેથી 6 લાખ ઉછીના લઈ ગયો. છતાં હજુ એના તરફથી પૈસા માગવાનું ચાલુ ને ચાલુ જ હતું. એને વધુ પૈસાની જરૂર પડી તો પાછા મારી પાસેથી વધુ પૈસા માગ્યા. એ લાખોના દેવામાં ડૂબતો હતો એટલે 6 લાખ રૂપિયા પાછા આપવાનું તો દૂર, ઉપરથી બીજા 2 લાખ માગ્યા.’ ‘મારા હાથમાં ડિસમિસ આવી ગયું, ને મેં એના ગળામાં મારી દીધું’મહેબૂબે વાત ચાલુ રાખી, ‘ઉપરથી એ મારી પાસેથી ઘણો ઈંટોનો માલ લઈ ગયો હતો, ને હજુ બીજા 8 લાખનો માલ જોઈતો હતો. મારી પાસે પડ્યો પણ હતો, પરંતુ જૂના પૈસા ન મળે ત્યાં સુધી નવો માલ કેમ આપવો? છતાં એ મને બોલાવ બોલાવ કરતો હતો તો હું એને મળવા ગયો. અમે મળ્યા વાતચીત કરતાં જ હતા ત્યાં એ લાલચુ વધારે ઉશ્કેરાઈ ગયો ને એની નિયત બગડી. એ મને મારવા દોડ્યો. મારી ઉપર ચડી ગયો ને હાથાપાઇ ચાલુ થઈ. રાતના અંધારામાં થોડી વાર તો હું પણ હેબતાઈ ગયો કે શું થઈ રહ્યું છે મારી સાથે. પણ એ મને મારવા જ તૂટી પડ્યો હતો. એમાં હાથાપાઇમાં મારા હાથમાં ક્યાંકથી ડિસમિસ (સ્ક્રૂ ડ્રાઇવર) આવી ગયું. મેં શું છે એ જોયા વિના જ સેલ્ફ ડિફેન્સમાં એની સામે મારી દીધું. પણ એ ક્ષણે આવેશમાં ભૂલ થઈ ગઈ. એ ડિસમિસ એના ગળામાં ઘૂસી ગયું.’ ‘હું સામેથી જ પોલીસની ગાડીમાં બેસી ગયો’પછી તમે શું કર્યું? મહેબૂબ કહે, ‘મારાથી તો અજાણતા થઈ ગયું હતું. હું તો ટેન્શનમાં આવી ગયો ને, ગભરાઈને ઘરે ભાગ્યો. ઘરે આવીને કોઈને કશી વાત કર્યા વિના શાંતિથી ગુમસુમ બેસી ગયો. ત્યાં થોડી વારમાં પોલીસ મારા ઘરે આવી. કારણ તો મને ખબર જ હતી. પોલીસ હજુ કશું કહે એ પહેલાં જ હું સામેથી ગાડીમાં બેસી ગયો ને સરેન્ડર કરી લીધું. પછી તો કોર્ટમાં કેસ ચાલ્યો ને આજીવન કેદની સજા થઈ.’ શું કરો છો તમે અહીં જેલમાં?મહેબૂબ કહે, ‘અહીં આવી પહેલાં તો વણાટકામ શીખ્યો હતો, પણ એ પછી દરજી કામ શીખી અત્યારે દરજીકામ કરું છું. સાથે સાથે શોખથી કમ્પ્યૂટર પણ શીખ્યો છું.’‘મારો પરિવાર હેરાન થઇ ગયો એનું દુઃખ છે’પસ્તાવો થાય છે ત્યારે? મહેબૂબ એક બાજુના નાકનું નસકોરું ઉપર ખેંચી કહે, ‘જેલમાં હોવાના કારણે ઘરે જ્યારે ઇમરજન્સી કામ હોય તો એ અટકે એ અફસોસ છે, બાકી કોઈ પસ્તાવો નથી! હું અહીં હોઉં ત્યારે ઘરે કોઈ બીમાર પડે કે કોઈ મુશ્કેલી આવે ને છતાં અમે જઈ ન શકીએ એનું દુઃખ થાય. અમે પાટણના રાંદેરમાં રહેતા ત્યારે આ બનાવ બન્યો હતો, પણ આખું ગામ પટેલોનું, એટલે ત્યાં અમારું રહેવું મુશ્કેલ ન બને એટલે મારો પરિવાર ફરી અમારા મૂળ ગામ ખેરાલુ શિફ્ટ થઈ ગયો. હું તો જેલમાં આવતાં આવ્યો, પણ મારો પરિવાર હેરાન થઈ ગયો એનું ભારે દુઃખ છે. હવે ખબર નહીં ક્યારે બહાર નીકળવા મળે, પણ બહાર જઈ હવે મારા પરિવારને સાચવી લઉં એટલે ઘણું ઘણું! (નોંધઃ આ સ્ટોરીમાં કેદીઓ વિેશે જે પણ વાત કહેવામાં આવી છે, એ કેદીઓએ એમના મુખેથી સ્ટોરી લખનારને કહેલી છે. કેદીઓની ગુપ્તતા જાળવવાના હેતુથી દરેક કેદીનાં નામ બદલાવેલાં છે.)
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર પ્રયાગરાજમાં વાયુસેનાના વિમાનના ક્રેશના હતા. બીજા મોટા સમાચાર સોના અને ચાંદીના ભાવના તમામ રેકોર્ડ તોડી નાખવાના હતા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત રાજ્યના 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે અનામતની લોટરી કાઢવામાં આવશે. 2. મધ્યપ્રદેશમાં ભોજશાળા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટ હિંદુ પક્ષ તરફથી દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરશે. કાલના મોટા સમાચારો 1. પ્રયાગરાજમાં એરફોર્સનું પ્લેન ક્રેશ, VIDEO:શહેરની વચ્ચોવચ હવામાં બેલેન્સ બગડ્યું, તળાવમાં જઈને પડ્યું; સ્થાનિકોએ 2 પાઇલટને બચાવ્યા પ્રયાગરાજમાં એરફોર્સનું ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. એરક્રાફ્ટ હવામાં ઊડતાં-ઊડતાં ડગમગાયું અને તળાવમાં ખાબક્યું હતું. 2 સીટર એરક્રાફ્ટમાં સવાર બંને પાઇલટ સુરક્ષિત છે. અકસ્માત બુધવારે બપોરે અંદાજે 12:20 વાગ્યે કેપી કોલેજની પાછળ થયો હતો. આ શહેરની મધ્યમાં આવેલો વિસ્તાર છે. તળાવની પાસે સ્કૂલ અને રહેણાક સોસાયટીઓ છે. અહીંથી માઘ મેળાનું અંતર 3 કિમી છે. અકસ્માત બાદ તરત જ આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે એરક્રાફ્ટ ક્રેશ થતાં પહેલાં બંને પાઇલટ પેરાશૂટથી કૂદી ગયા હતા અને તળાવમાં પડ્યા હતા. ત્યાં તેઓ કાદવમાં ફસાઈ ગયા હતા, જેમને સ્થાનિક લોકોએ બહાર કાઢ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ટ્રમ્પનું એલાન- ગ્રીનલેન્ડ લઈશું, પણ બળપ્રયોગ નહીં કરું:અમેરિકા સિવાય કોઈ તેનું રક્ષણ નહીં કરી શકે, રાષ્ટ્રીય સુરક્ષા માટે અમને તેની જરૂર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) 2026માં પોતાનું ભાષણ શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે યુરોપ ખોટી દિશામાં આગળ વધી રહ્યું છે. ટ્રમ્પે છેલ્લા કેટલાક દિવસોમાં ગ્રીનલેન્ડને કબજે કરવાનો વારંવાર દાવો કર્યો છે. આ જ કારણ છે કે વિશ્વ દાવોસમાં ટ્રમ્પની હાજરી અને તેમના દરેક નિવેદન પર નજીકથી નજર રાખી રહ્યું છે. WEFમાં તેમના ભાષણ પછી, ટ્રમ્પ એક ખાસ ઉચ્ચ-સ્તરીય કાર્યક્રમનું પણ આયોજન કરશે. આ કાર્યક્રમમાં સાત અગ્રણી ભારતીય ઉદ્યોગપતિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. અવિમુક્તેશ્વરાનંદની ચેતવણી- નોટિસ પાછી ખેંચો:પ્રયાગરાજ તંત્રએ પૂછ્યું હતું, 24 કલાકમાં જણાવો કે તમે પોતાને શંકરાચાર્ય કેવી રીતે ઘોષિત કર્યા પ્રયાગરાજમાં મૌની અમાસ પર સ્નાનને લઈને પ્રશાસન અને સ્વામી અવિમુક્તેશ્વરાનંદ વચ્ચે શરૂ થયેલો વિવાદ હવે શંકરાચાર્યના પદ સુધી પહોંચી ગયો છે. અવિમુક્તેશ્વરાનંદે 24 કલાકમાં મેળા પ્રશાસનને 8 પાનાંનો જવાબ ઈ-મેલથી મોકલ્યો છે. નોટિસને મનસ્વી, દૂષિત અને ગેરબંધારણીય ગણાવી. અવિમુક્તેશ્વરાનંદે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે એવો કોઈ આદેશ આપ્યો નથી, જેનાથી અવિમુક્તેશ્વરાનંદને શંકરાચાર્ય પદ પર રહેવાથી રોકવામાં આવ્યા હોય. મામલો કોર્ટમાં વિચારણા હેઠળ છે, તેથી કોઈપણ ત્રીજા પક્ષને ટિપ્પણી કરવાનો કે રોક લગાવવાનો અધિકાર નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 4. સોનું પહેલીવાર ₹1.5 લાખ પાર, ₹7795 વધ્યું:21 દિવસમાં 22 હજાર મોંઘું થયું; ચાંદી 10 હજાર વધીને ₹3.20 લાખ પર પહોંચી સોનાની કિંમત આજે એટલે કે 21 જાન્યુઆરીએ 1.50 લાખ રૂપિયાને પાર કરી ગઈ છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, સોનું આજે 7,795 રૂપિયા વધીને 1,55,204 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું છે. ગઈકાલે તે 1,47,409 રૂપિયા પર હતું. સોનું આ વર્ષે અત્યાર સુધીમાં 21,744 રૂપિયા મોંઘું થઈ ચૂક્યું છે. જ્યારે 1 કિલો ચાંદીની કિંમત આજે 10,730 રૂપિયા વધીને 3,20,075 રૂપિયા પર પહોંચી ગઈ છે. આ પહેલા ગઈકાલે તે 3,09,345 રૂપિયા પર હતી. ચાંદી આ વર્ષે માત્ર 21 દિવસમાં જ 90,825 રૂપિયા મોંઘી થઈ ચૂકી છે. સોના-ચાંદીના ભાવ સતત ત્રીજા દિવસે તેમની સર્વોચ્ચ સપાટી પર છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ICCએ બાંગ્લાદેશને 'ક્લિન બોલ્ડ' કરી નાખ્યું:વર્લ્ડ કપ ભારતમાં જ રમવો પડશે, એક દિવસમાં ફાઇનલ જવાબ માગ્યો; નહીં માને તો સ્કોટલેન્ડને મળશે તક ICCની બેઠકમાં 14 દેશોએ બાંગ્લાદેશ વિરુદ્ધ મતદાન કર્યું. જો બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) T20 વર્લ્ડ કપ રમવા માટે ભારત નહીં જાય, તો સ્કોટલેન્ડને તક આપવામાં આવશે. હાલમાં, ICCએ BCBને તેના વલણ પર વિચાર કરવા માટે વધુ એક દિવસનો સમય આપ્યો છે. Cricinfo અનુસાર, ICCની બેઠકમાં 16માંથી 14 દેશોએ BCB ની વિરુદ્ધ મતદાન કર્યું હતું. ફક્ત પાકિસ્તાને તેમને ટેકો આપ્યો હતો. જોકે, બાંગ્લાદેશ ICC ટુર્નામેન્ટમાં ભાગ લેશે કે નહીં તે અંગે હવે 22 જાન્યુઆરીએ નિર્ણય લેવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. આનંદીબેનનાં દીકરી હવે ખોડલધામનાં સર્વેસર્વા:નરેશ પટેલે નવી પોસ્ટ ઊભી કરી આખું સંગઠન સોંપ્યું, અનાર પટેલે કહ્યું-ટિકિટ માટે મારે આમ તેમ જવાની જરૂર નથી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેનનાં દીકરી અનાર પટેલ હવે ખોડલધામનાં સર્વેસર્વા થઈ ગયા છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે નવી પોસ્ટ ઊભી કરી અનાર પટેલને આખું સંગઠન સોંપી દીધુ છે. હવે અનાર પટેલ ગામે ગામે જઈ ખોડલધામને મજબૂત કરશે અને ખોડલધામ સંગઠનને ઘર-ઘર સુધી પહોચાડશે. ઉલ્લેખનીય છે કે 2027ની વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ગુજરાતના બદલાતા રાજકીય અને સામાજિક સમીકરણોએ પાટીદાર સમાજની સાથે સાથે રાજકીય વર્તુળોમાં પણ હલચલ મચાવી દીધી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. અંતે માયાભાઈ આહીરનો પુત્ર જયરાજ SIT સમક્ષ હાજર:બગદાણાના નવનીત બાલધિયા હુમલા કેસમાં પૂછપરછ શરૂ, નવાજૂનીના એંધાણ બગદાણા કોળી યુવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસમાં અંતે લોકગાયક માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર SIT સમક્ષ હાજર થયા છે. નવનીત બાલધિયાએ પોતાના પર થયેલા હુમલા પાછળ માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે. બે દિવસ પહેલાં SIT સમક્ષ નિવેદન આપવા આવેલા બાલધિયાએ હુમલા કેસને લઈ SITને 15 પુરાવા આપ્યા હોવાનો દાવો કર્યો હતો. નવનીત બાલધિયા પર થયેલા હુમલાના ગાંધીનગર સુધી ઘેરા પડઘા પડ્યા બાદ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી. ટીમ દ્વારા કેસ સાથે સંકળાયેલા પોલીસ ઈન્સ્પેક્ટરો અને ભોગ બનનાર નવનીત બાલધિયાનું નિવેદન લીધા બાદ જયરાજ આહીરને હાજર થવા સમન્સ પાઠવવામાં આવતા તે હાજર થયા છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : NASAમાંથી સુનીતા વિલિયમ્સ રિટાયર થઈ:અંતરીક્ષમાં 600 દિવસથી વધુ સમય વિતાવ્યો; કહ્યું- ચંદ્ર પર જવા માગું છું, પણ પતિ મને મારી નાખશે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : વિશ્વભરમાં પાકિસ્તાનની આબરૂના ધજાગરા ઊડ્યા:રક્ષામંત્રીએ જેનું ઉદ્ઘાટન કર્યું એ 'પિત્ઝા હટ' જ નકલી નીકળ્યું, સોશિયલ મીડિયા પર ઊડી મજાક વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : શ્રીનગરમાં વાયુ પ્રદૂષણ 7 વર્ષમાં સૌથી ખરાબ:શ્વાસ લેવો 4 સિગારેટ પીવા બરાબર, દિલ્હીમાં પણ AQI 390ના ખતરનાક સ્તરે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ભારત-પાકિસ્તાન સહિત 10 મહિનામાં 8 યુદ્ધ અટકાવ્યા:ટ્રમ્પે કહ્યું- દુનિયાને ન્યુક્લિયર યુદ્ધથી બચાવ્યા, મને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈતો હતો વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : રોકાણકારોના 3 દિવસમાં 15 લાખ કરોડ સ્વાહા!: સેન્સેક્સ 270 પોઈન્ટ ઘટીને 81,909ના સ્તરે બંધ, નિફ્ટી પણ 75 પોઈન્ટ ઘટ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : કોહલી એક અઠવાડિયામાં વન-ડે રેન્કિંગમાં નંબર-1 પરથી હટ્યો:ડેરીલ મિચેલે પાછળ છોડ્યો, ટૉપ-10માં 4 ભારતીય બેટર્સ વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : 23 જાન્યુઆરીએ વસંત પંચમી:માતા સરસ્વતીને પ્રસન્ન કરવા માટે કરો આ કામ, જ્ઞાન અને કલાનું મળશે વરદાન વાંચો સંપૂર્ણ સમાચાર અજબ ગજબ પત્ની-ફૈબાએ સ્મશાનમાંથી અસ્થિઓ ચોરી છત્તીસગઢના બિલાસપુરમાં એક વ્યક્તિની પત્ની અને બહેને સ્મશાનમાંથી તેની અસ્થિઓ ચોરી લીધી છે. મૃતક આલોક ઠાકરના બાળકોનો આરોપ છે કે તેમની માતા અને ફૈબા સંપત્તિ હડપવા માગે છે, તેથી અંતિમ સંસ્કારમાં અડચણ ઊભી કરી રહી છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: 80 દેશોમાં મિલિટરી બેઝ, દુનિયાના 88% પેમેન્ટ ડોલરમાં; દુનિયા પર અમેરિકાની 'દાદાગીરી' કેમ ચાલે છે, શું બધું બદલાવાનું છે? 2. Editor's View: ટ્રમ્પને 440 વોટનો ઝટકો:ટેરિફની ધમકી સામે યુરોપનું ઈન્ડિયા કાર્ડ, મધર ઓફ ડીલથી ભારતનાં ભાગ્યનાં દ્વાર ખુલશે, ગુજરાતને સૌથી મોટો ફાયદો 3. બંદીવાન-3 : ‘ગુજરાતનો ટોપર પોક્સોના કેસમાં ફસાઈ ગયો’: સાબરમતીના બે શિક્ષિત કેદીની કરમકથની, ‘આર્મીમાં હતો, પરિવારમાં મર્ડર થયું ને મને આજીવન કેદ થઈ’ 4. સમલૈંગિક સંબંધનો ભાંડો ફૂટતાં જ પાર્ટનરની કુહાડી મારી હત્યા કરી: વાડીમાં ખાડો ખોદી મીઠું નાખીને લાશ દાટી દીધી, પોલીસને ગેરમાર્ગે દોરવા બાઇક નર્મદા કેનાલ પાસે મૂકી આવ્યો 5. ભાસ્કર એક્સક્લૂસિવ : 'શું બ્રાહ્મણો પર કર્ફ્યૂ લાગ્યો છે, ફરી મિટિંગ થશે': અધિકારીઓ સાંભળતા નથી, શું અમે અછૂત; યુપીમાં બ્રાહ્મણ ધારાસભ્યોની મિટિંગથી કોણ પરેશાન? 6. એક્સક્લૂસિવ : 5,000 કિમી દૂર ફસાયેલી માતાની યાદમાં દીકરીની રોકકળ: દરવાજે ઊભી ઊભી એક જ શબ્દ, 'મમ્મીની ખૂબ યાદ આવે છે, અમારો ખર્ચો કાઢવા દાગીના ગીરવી મૂકી બેલારુસ ગઈ' 7. ગ્રાઉન્ડ રિપોર્ટ : હિન્દુ મતદારો માટે વિકાસ, મુસ્લિમ માટે ઘૂસણખોરી-હિન્દુત્વ: માલદા-સિંગુરમાં મોદીનું 59 બેઠક પર નિશાન, શું સિંગુર પરત આવી શકશે ટાટાની ફેક્ટરી? કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ: મિથુન અને કુંભ રાશિના જાતકોના કાર્યો સમયસર પૂરા થશે, વૃશ્ચિક જાતકોએ નાણાકીય લેવડ-દેવડ ટાળવી (સંપૂર્ણ રાશિફળ વાંચો)
તમે તમારી કારકિર્દી શરુ થવા પહેલાં જ બરબાદ કરી નાખી ઃ કોર્ટ
પ્રોફેસર સાંઈબાબા પુણ્યતિથિના કાર્યક્રમ બાબતે 'ટીસ'ના વિદ્યાર્થીઓ સામે કેસ ક્રિમીનલ કેસને લીધે તમને ક્યાંય સરકારી નોકરી નહીં મળે અને ખાનગી નોકરીમાં પણ પેન્ડિંગ ફોજદારી કેસનો ખુલાસો આપવો પડશે ઃ કોર્ટ મુંબઈ - દિલ્હી યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર જી.એન.સાંઈબાબાની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપવા બદ્દલ ટાટા ઈન્સ્ટિટયૂટ ઓફ સોશિયલ સાયન્સેસ (ટીસ)ના નવ વિદ્યાર્થીઓને સોમવારે સેશન્સ કોર્ટના ન્યાયાધીશે ઠપકો આપ્યો હતો. તેમજ ચેતવણી આપી હતી કે, તેમની સામેનો કેસ તેમની ભાવિ કારકિર્દીને પ્રતિકૂળ અસર કરી શકે છે.
રાજકારણ:શરદ પવાર-અજિતનો કિંગમેકર ફોર્મ્યુલા: મુંબઈમાં નવું જોડાણ કરવાની હિલચાલ?
રાજ્યમાં મહાપાલિકાની ચૂંટણીનાં પરિણામો જાહેર થયા બાદ રાજકીય ગતિવિધિઓએ ગતિ પકડી છે અને ખાસ કરીને મુંબઈ મહાપાલિકામાં એક નવું સમીકરણ ઊભરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અજિત પવારના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ત્રણ નગરસેવકો, શરદ પવાર જૂથના એક નગરસેવકો અને સમાજવાદી પાર્ટીના બે નગરસેવકો સહિત છ લોકોનું સ્વતંત્ર યુતિ બનાવવાની હિલચાલ ચાલી રહી છે. જો આ યુતિ સાકાર થાય છે, તો તે મહાપાલિકામાં સત્તા ગણતરીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. છ નગરસેવકોના આ જૂથને સ્થાયી સમિતિમાં એક બેઠક, સુધારણા સમિતિમાં એક બેઠક અને શિક્ષણ સમિતિમાં એક બેઠક મળવાની શક્યતા છે. ઉપરાંત, આ જૂથને અન્ય નાની સમિતિઓમાં પણ પ્રતિનિધિત્વ મળી શકે છે. તેથી, સંખ્યાની રમતમાં આ છ લોકોનું મહત્ત્વ નોંધપાત્ર રીતે વધી જશે. ચૂંટણી દરમિયાન ઉદ્ધવ ઠાકરેની શિવસેના સાથે લડનાર શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, પરિણામો પછી અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની નજીક જઈ રહી હોવાનું કહેવાય છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ચૂંટણી દરમિયાન એકબીજાથી વિરોધાભાસી રહેલા રાષ્ટ્રવાદીનાં બે જૂથો હવે મહાપાલિકામાં સરકાર બનાવવા માટે ભેગા થઈ શકે છે, જે મુંબઈના રાજકારણ માટે એક નવો વળાંક હોઈ શકે છે. મેયરપદના અનામત માટે આજે ડ્રો’- દરમિયાન, રાજ્યની તમામ 29 મહાપાલિકામાં મેયરપદના અનામત માટે ડ્રો 22 જાન્યુઆરીએ યોજાશે. આ ડ્રો મંત્રાલય ખાતે શહેરી વિકાસ વિભાગ દ્વારા યોજાશે, અને આ પ્રક્રિયા સવારે 11 વાગ્યે શરૂ થશે. આ ડ્રો પછી, સ્પષ્ટ થશે કે કઈ મહાપાલિકામાં કયા વર્ગના મેયર બેસશે. તેથી, મુંબઈ સહિત રાજ્યભરના રાજકીય પક્ષોનું ધ્યાન આ ડ્રો પર કેન્દ્રિત છે. હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી શકે- ભાજપ ૮૯ બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને ૬૫ બેઠકો મળી છે. એકનાથ શિંદેની શિવસેનાને ૨૯ બેઠકો, કોંગ્રેસને ૨૪, મનસેને ૬, AIMIMને ૮, NCPને ૩, સમાજવાદી પાર્ટીને ૨ અને NCP શરદ પવાર જૂથને ૧ બેઠક મળી છે. કુલ ૨૨૭ બેઠકોવાળા ગૃહમાં કોઈને પણ સ્પષ્ટ બહુમતી ન મળતાં, યુતિ, આઘાડી અને વ્યૂહરચનાઓને ખાસ મહત્ત્વ મળ્યું છે. તેથી, આગામી દિવસોમાં મુંબઈ મહાપાલિકામાં વધુ નાટકીય વિકાસની શક્યતા નકારી શકાય નહીં.
સિટી એન્કર:જીવદયાના મસીહા જીતુકાકાને મરણોત્તર સન્માનથી વિભૂષિત
શ્રી જાંબલી ગલી જૈન સંઘના કાર્યકારી સભ્ય તથા શ્રી અખિલ ભારતીય કૃષિ ગો સેવા સંઘ અને શ્રી વર્ધમાન પરિવારના ટ્રસ્ટીવર્ય અને અન્ય અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા જીતુભાઈ દલીચંદ શાહને બોરીવલીના જાંબલી ગલીના જૈન સંઘ દ્વારા યુગપુરુષનું મરણોત્તર સન્માન સેંકડો ભાવિકોની હાજરીમાં પૂજ્ય ગુરુભગવંતોની નિશ્રામાં તેમની ગુણાનુવાદ સભામાં તેમના પરિવારને અર્પણ કરવામાં આવ્યું હતું. જીવદયાની અનેકવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા અને શ્રી વર્ધમાન પરિવારના બોરીવલી કેન્દ્રના મોભી તેમ જ મહાત્મા ગાંધી દ્વારા સ્થપાયેલ અને વિનોબા ભાવે દ્વારા સંચાલિત થયેલ શ્રી અખિલ ભારતીય ગો સેવા સંઘના પણ તેઓ ટ્રસ્ટીવર્ય હતા. પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી વિનીતસાગરસૂરિજી મ.સા. તથા પ. પૂ. પં. પ્ર. શ્રી સત્વબોધી મ.સા. તેમ જ પૂં. પં. પ્ર. શ્રી વીતરાગવલ્લભ વિજયજી મ.સા. લાંબો વિહાર કરીને બોરીવલીની જાંબલી ગલીની આ શ્રાવકની ગુણાનુવાદ સભામાં હાજર રહ્યા હતા. અને સભાને તેમના ગુણોનો પરિચય કરાવ્યો હતો.આ સભામાં વિધાનસભ્ય સંજયભાઈ ઉપાધ્યાય અને નવા ચૂંટાયેલા નગરસેવક ધવલભાઈ વોરા અને જીજ્ઞાસાબેન શાહ તેમ જ ભૂતપૂર્વ નગરસેવક પ્રવીણભાઈએ પ્રાસંગિક વકતવ્યો કર્યા હતા. કચ્છમાં રહીને તેઓએ શ્રી વર્ધમાન પરિવાર દ્વારા પશુરક્ષાના મહાયજ્ઞમાં પાંચ વર્ષમાં લગભગ પચાસ કરોડ રૂપિયાનું અનુદાન મેળવીને પશુઓને જીવતદાન અપાવ્યું હતું. જેમાં ગુજરાત સરકાર તરફથી 20 કરોડ રૂપિયાની સબસિડી મળી હતી. શ્રી વિજયભાઈ રુપાણી હેલિકોપ્ટરમાં ગાંધીનગરથી રાજકોટ આવીને શ્રી સંવેગભાઈ દ્વારા અપાયેલ અમદાવાદ પાંજરાપોળનો બે કરોડનો ચેક શ્રી વર્ધમાન પરિવારને અર્પણ કર્યો હતો. આ મહાનુભાવોના પ્રાસંગિક પ્રવચનજાંબલીગલી જૈન સંઘ, 27 સંઘ બોરીવલી શ્રી મુંબઈ જૈન સંઘ સંઘટન, શ્રી વિનીયોગ પરિવાર, શ્રી વર્ધમાન પરિવાર, શિવપાર્શ્વ ચેરિટી ટ્ર્સ્ટ, આદિ એકેડેમી, વર્ધમાન સંસ્કાર ધામ, (કચ્છથી) ગોવિંદભાઈ ગ્લોબલ કચ્છ, શત્રુંજય યુવક મંડલ, સમસ્ત મહાજન, એનિમલ વેલ્ફેર બોર્ડના રાજકોટના સભ્ય રાજેન્દ્રભાઈ, જીતુભાઈના પરિવારમાંથી - હિમાંશુભાઈએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. મહાવીરભાઈ શાહે પ્રસંગને અનુરૂપ સુંદર ભાવવાહી ગીતો રજૂ કર્યા હતા અને અંતમાં શ્રી જાંબલી ગલી જૈન સંઘે જીતુભાઈ દલીચંદ શાહને યુગપુરુષની પદવી એનાયત કરીને તેમનું મરણોત્તર સન્માન કર્યું હતું.
દરખાસ્ત કરાઈ:મનપા બનતાં જ હવે આણંદ શહેર પોલીસ બે ડિવિઝનમાં વહેંચાશે
કરમસદ-આણંદ મહાનગર પાલિકા બનતા અને વસ્તીમાં વધારો થતાં જ હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુસર આણંદ શહેર પોલીસને બે ડિવિઝનમાં વ્હેંચવાની જરૂરીયાત ઊભી થતાં જ જિલ્લા પોલીસ વડા દ્વારા આ અંગેની એક દરખાસ્ત તૈયાર કરીને મોકલવામાં આવી છે. આમ, આગામી સમયમાં આણંદ શહેર પોલીસ સ્ટેશન એ અને બી એમ બે ડિવિઝનમાં વ્હેંચાશે. આ અંગેની સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ગત વર્ષે જાન્યુઆરીમાં કરમસદ આણંદ મહાનગરપાલિકા બનતાં તેમાં આણંદ, કરમસદ, વિદ્યાનગર પાલિકા તથા ગામડી, લાંભવેલ, મોગરી અને જીટોડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેને પગલે અંદાજિત ત્રણ લાખ જેટલી વસ્તીનો સમાવેશ કરાયો છે. વસ્તીનો વ્યાપ વધતાં એક પોલીસ સ્ટેશન અપૂરતું હોય છે એટલે શહેરને બે ભાગમાં વ્હેંચવું જરૂરી હોય અને કાનૂની જન સુવિધા સરળતાથી ઉપલબ્ધ થાય તેના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંગેની દરખાસ્ત રાજ્ય સરકારમાં મોકલી આપવામાં આવી છે. જોકે, હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને આવરી એ તથા બી ડિવિઝનના પોલીસ સ્ટેશન કાર્યરત કરવાની વિચારણા હાલ ચાલી રહી છે. જે અંતર્ગત એ ડિવિઝનમાં આણંદ શહેર, ગામડી, 80-100 ફૂટ રોડ તથા બાકરોલ-લાંભવેલનો વિસ્તાર તથા બી ડિવિઝનમાં વિદ્યાનગર, કરમસદ, મોગરી, જિટોડિયા, ચાવડાપુરા સહિતના વિસ્તારનો સમાવેશ કરવામાં આવશે.
વાહનચાલકોને અકસ્માતનો ભય:સામરખા ચોકડી પર ગેરકાયદે માર્કેટ સીલ કર્યું તો રોડ પર 70 પથારા લાગ્યા
નેશનલ હાઇવે નં 48 પર સામરખા ચોકડી પાસે એપીએમસી સંચાલિત સરદાર પટેલ શાકમાર્કેટ વર્ષોથી કાર્યરત છે. તેમ છતાં તેની બાજુમાં ગોડાઉનની પરિમશન હોવા છતાં ખાનગી શાકમાર્કેટ બનાવી દેતા મનપાએ સીલ કર્યું હતું. મનપાએ માર્કેટ સીલ કરતાં 70 જેટલા વેપારીઓએ હવે રોડની બાજુમાં પાથરણા પાથરીને ધંધો શરૂ કરવામાં આવ્યો છે. જે ભવિષ્યમાં ટ્રાફિક માટે અડયણ રૂપ બને તેમ છે. ત્યારે મનપા સહિત તંત્રએ જગ્યા ઘર કરી જાય તે પહેલા જ કોઇના ઇશારે બેસતા શાકભાજીવાળાને ખસેડવામાં આવે તેમ જનતા ઇચ્છે છે. ગત સપ્તાહે મનપા દ્વારા સામરખા ચોકડી પાસે આવેલા એપીએમસી સંચાલિત શાકમાર્કેટને અડીને ઉભા કરવામાં આવેલા ગેરકાયદે શાકમાર્કેટ ને સીલ કરવામાં આવ્યું હતું. જે બાદજથ્થાબંધ શાકભાજી વેચવા માટે વેપારીઓ રોડ પર બેસી ગયા છે. જેના કારણે વાહનચાલકોનો હાલાકીઓનો સામનો કરવો પડે છે. જેને લઇને એપીએમસીના વેપારીઓને સીધી અસર થઇ રહી છે. ત્યારે આ ગેરકાયદે શાકમાર્કેટ ઉભુ કરનારના ઇશારે વેપારીઓ રોડની બાજુમાં શાકબાજી વેચવા બેસી ગયા છે. તેમને તાત્કાલિક ખસડેવામાં નહીં આવે તો અકસ્માતો થવાની સંભાવના છે. જેથી તાત્કાલિક તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠી છે. એપીએમસીના નિયમ મુજબ 5 કિમી વિસ્તારમાં ખાનગી શાકમાર્કેટ ઉભુ ન કરાય એપીએમસીના ધારાધોરણ મુજબ 5 કિમી વિસ્તારમાં જથ્થાબંધ શાકભાજી ના વ્યવસાય કરી ન શકાય તેમ છતાં સીલ કરવામાં આવેલા ગેરકાયદે શાકમાર્કેટની બહાર જ પથારા લાગી ગયા છે. હા 48 પર સતત વાહનોની અવરજવર રહે છે. ત્યારે સામરખા ચોકડી પાસે ગેરકાયદે રોડની બાજુમાં પાથરણા નાંખીને શાકભાજી વાળા બેસી જાય છે.જેથી હાઇવે પરથી પસાર થતાં વાહનચાલકો શાકભાજી લેવા ઉભા રહેતા રોડ વાહનો ખડકાઇ જાય છે. જેથી અકસ્માત થવાનો ભય રહે છે.
અપહરણ:તિલકવાડીમાં લગ્નની લાલચે સગીરાનું અપહરણ
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના એક ગામે સગીર વયની દીકરી સાથે બદકામ કરનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. ફરીયાદીની સગીરવયની દીકરીને દિપક ભીલએ આ સગીરા સાથે પ્રેમ સબંધ બાંધ્યો હતો. બાદમાં આ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી તેના ઘરેથી ભગાડી ગયો છે. આ બાબતે ફરિયાદીએ તેમની દીકરીનું અપહરણ અને દુષ્કર્મ કરવાની ફરિયાદ યુવાન સામે નોંધાવી છે. સગીરાની માતાની ફરિયાદના આધારે તિલકવાડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કાર્યવાહી:જૂની અદાવતમાં 11 શખ્સો દ્વારા હુમલાનો પ્રયાસ, હથિયારો સાથે દબોચ્યા
નવા બાયપાસ રોડ પર જૂની અદાવતનું મનદુઃખ રાખી 11 શખ્સોએ 2 પિતરાઈ પર હુમલો કરવાની કોશિષ કરી હતી. જોકે પોલીસે તમામને પકડી લઈ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. જૂનાગઢ તાલુકાના ગલીયાવડ ગામના 35 વર્ષીય કાસમભાઈ આમદભાઈ સીડાની ફરિયાદ અનુસાર યુવાન અને ઈબ્રાહીમ ઓસમાણ અને તેના ભાઈઓ વચ્ચે આશરે સાતેક વર્ષ પહેલાં દુકાન ખાલી કરવા મુદે ઝઘડો થયો હતો. અને સામ સામે ગુનો દાખલ થયો હતો. જેની અદાવત હજુ પણ ચાલી રહી હતી. મંગળવારે સાંજે યુવક, પિતરાઈ તોસીફ આમદભાઈ ગલીયાવડ ગામે ગેબનશા પીરની દરગાહ પાસે નવા બનતા પુલમાં પાણી છટકાવ કરવાનું કામ રાખેલ હોય જ્યાં ગયા હતા. બાદમાં બાઈક લઈને નવા બાયપાસ રોડ પર આવેલ હોટલ પર ચા પીવા ગયા હતા, ત્યારે હોટેલ પર ગલીયાવડના ઈબ્રાહીમ ઓસમાણ, તારમહમદ ઉર્ફે ડાડો મહમદ સીડા, જૂનાગઢના હર્ષદનગરના તોસિફ આમદ સીડા, મહમદ કાસમ સીડા, તેનો દીકરો બેઠા હતા અને બંને યુવકના જોતા ઇબ્રાહીમ ઓસમાણ એ ગાડીમાંથી હથિયાર કાઢો આજે આ બંનેનું અહીં પૂરું કરી દેવું છે કેમ કહેતા તેની સાથેના શખ્સોએ કારમાંથી લાકડી લોખંડનો પાઇપ કાઢતા જેથી બંને યુવાનોએ બાઈક વાળી લઈ થોડે આગળ રોડ પર ઉભી રાખી હતી. આ દરમ્યાન 3 બાઈક પર જુસબ ઉર્ફે બાબુ હુસેન સીડા, ઈરફાન ઈકબાલ, તેનો મોટો દીકરો, હનીફ ઉર્ફે કાદુ ઈબ્રાહીમ, રફીક ઈબ્રાહીમ, આદિલ દાઉદ સીડા હથિયારો સાથે હોટલ પર ધસી આવ્યા હતા. બંને યુવક સર્વિસ રોડ પર ઉભા હતા તેવામાં મુસ્તફા, તુષાર ભાલા લઈને આવ્યા હતા. જોકે, સમયસૂચકતા વાપરી પોલીસે તુરંત ઘટનાસ્થળે પહોંચી શખ્સોને હથિયારો સાથે ઝડપી પાડ્યા હતા. ઘટના અંગે તાલુકા પોલીસે કાસમ આમદભાઈની ફરિયાદ આધારે 11 શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
ફરિયાદ:કૌટુંબિક અણબનાવમાં વૃદ્ધ પર વેવાઇના કુંટુંબી ભાઈનો હુમલો
વંથલી નજીક કૌટુંબિક અણબનાવમાં શાપુરના વૃદ્ધ પર કુટુંબી ભાઈએ હુમલો કરી ધમકી આપી હતી. બનાવની વિગતો અનુસાર શાપુરના 57 વર્ષીય વૃધ્ધ નારણભાઈ ઉકાભાઈ ગુજરીયાના દીકરા અને દીકરીના લગ્ન ગોદળભાઈ ઉકાભાઇ ધાનોયા દીકરા, દીકરી સાથે સામસામે થયા હતા. પરંતુ છેલ્લા બે વર્ષથી નારણભાઈની પુત્રવધૂ રિસામણે છે. આ બાબતે મનદુઃખ ચાલતું હતું. ગત તા. 19 જાન્યુઆરીના રોજ સવારે નારણભાઈ જ્યારે વંથલી પાસેના સોનારડી ગામથી જિંજુડા જતા હતા, ત્યારે તેના વેવાઇના વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામે રહેતા કુટુંબી ભાઈ જીવા પોલાભાઈ ધાનોયાએ તેમને અટકાવી પુત્રીને સાસરે મોકલવા મુદે બોલાચાલી કરી હતી. ઝઘડો ઉગ્ર બનતા શખ્સે નારણભાઈનો કોલર પકડી ગાળો કાઢી હતી અને પથ્થર વડે માથાના પાછળના ભાગે હુમલો કર્યો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલાથી ઈજાગ્રસ્ત થયેલા નારણભાઈને વંથલી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે વૃધ્ધની ફરિયાદ આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
રોજગાર મેળા:20 યુવાનોની પસંદગી બાદ હવે 23મીએ જૂનાગઢમાં ફરી ભરતીમેળો
જૂનાગઢ જિલ્લાના બેરોજગાર યુવાનોને સ્થાનિક સ્તરે રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાના હેતુ સાથે જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા જે.કે.એમ. કોમર્સ, બીબીએ એન્ડ બીસીએ કોલેજ ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતીમેળા માટે જિલ્લાના આશરે 2000થી વધુ ઉમેદવારોને બોલાવવામાં કરવામાં આવ્યા હતા. પ્રક્રિયા દરમિયાન હાજર રહેલા ઉમેદવારોમાંથી ખાનગી એકમોએ ભાગ લીધો હતો. કંપનીના અધિકારીઓએ ઉમેદવારોને જોબ પ્રોફાઇલ વિશે વિગતવાર માહિતી આપી વ્યક્તિગત ઇન્ટરવ્યુ લીધા હતા. લાયકાત અને કૌશલ્યના આધારે 20 જેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે, જેમને હવે પછીના રાઉન્ડ માટે બોલાવવામાં આવશે. આ ઉપરાંત, રોજગાર કચેરીના અધિકારીઓ દ્વારા ઉપસ્થિત યુવાનોને મોડેલ કેરિયર સેન્ટર અને એન.સી.એસ. પોર્ટલ વિશે માર્ગદર્શન આપી કારકિર્દી ઘડતર માટે પ્રોત્સાહિત કર્યા હતા. આગામી ભરતીમેળો 23મીએ જિલ્લા રોજગાર કચેરી દ્વારા આગામી 23 જાન્યુઆરીના રોજ સવારે બહુમાળી ભવન, જૂનાગઢ ખાતે અન્ય એક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાનગી સંસ્થાઓ ભાગ લેશે. ધોરણ 10 પાસથી લઈ સ્નાતક સુધીની લાયકાત ધરાવતા 18 થી 40 વર્ષના ઉમેદવારો આ તકનો લાભ લઈ શકશે.
કામગીરી:ભેળસેળીયુ સોનું કેસ, બરોડાથી મુદામાલ મેળવવા ક્વાયત
કેશોદના સોની બજારમાં નરેન્દ્રભાઇ ખીમજીભાઇ પાલાની દુકાને પીળી ધાતુ જેવા દેખાતો સોનાનો હાર પધરાવી અવેજીમાં 2,62,996 બે સોનાના ચેઇન 22000 રોકડ તેમજ જુનાગઢ ખાતે ન્યુ ગિરિરાજ જ્વેલર્સના જમનભાઈ છગનભાઇ પાલાની દુકાનેથી ભેળસેળ વાળી હાંસડી વેંચાણ કરી 3.1 લાખના સોનાનો ચેઈન, વીંટી ખરીદી છેતરપીંડી કરી હતી પોલીસે બંને જગ્યાએ એક અજાણી મહિલા અને અજાણ્યો પુરૂષ વિરૂધ્ધ ગુનોં નોંધી પોલીસને મળેલ વિગતોમાં જેમની ભૂમિકા જણાઇ તેવા શંકાસ્પદ ઇસમોના ફોટા આધારે તપાસ હાથ ધરી જૂનાગઢ એલસીબીની ટીમે બરોડાથી બાતમીના આધારે આરોપી ધર્મેન્દ્ર ફાગુભાઇ શાહુ અને કિરણદેવી સંજયભાઈ યાદવને ઝડપી પાડ્યાં હતાં. બાદમાં આરોપી ધર્મેન્દ્રના કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં જ્યારે કિરણદેવીને નોટીસ આપી મુક્ત કર્યા હતાં. આ કામના આરોપીઓ પાસેથી બરોડા રેલવે પોલીસે જપ્ત કરેલ મુદામાલ કેશોદ પોલીસે જમા લેવા તજવીજ હાથ ધરી અને બંને આરોપીની કેશોદ પીએસઆઇ એમ. ડી. મકવાણા સહિતના સ્ટાફે પૂછપરછ હાથ ધરી છે.
વાતાવરણ:ઠંડી ઘટી, સવારે તાપમાન 1.5, બપોરે 2.9 ડિગ્રી વધ્યું
જૂનાગઢ સહિત સોરઠમાં મંગળવારે ગિરનાર પર 11 દિવસ બાદ ફરીથી 5.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયા બાદ બુધવારની સવારે પારો 1.5 ડિગ્રી ઉપર ચડીને 7 ડિગ્રીએ પહોંચી ગયો હતો. ગિરનારની માફક જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 1.5 ડિગ્રીના વધારા સાથે 12 ડીગ્રી નોંધાયું હતું. જોકે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણે 80 ટકા રહેતા ધુમ્મસ છવાઈ ગયું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર તા. 22મીએ ઉત્તર ભારતમાં જોવા મળશે. જેના કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં હિમવર્ષા થશે. જ્યારે સોરઠ, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં 22, 23, 24 જાન્યુઆરી તાપમાન સામાન્ય રહેશે. સવારના તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થવાની શક્યતા હોય ઠંડીથી લોકોને રાહત રહેશે પરંતુ 25 જાન્યુઆરીથી ઠંડીમાં વધારો થશે એમ હવામાન અધિકારી ધીમંત વઘાસીયાએ જણાવ્યુ હતુ.
કાર્યવાહી:ભાજપ કોર્પોરેટર અને તેના ભાઈના આજે રિમાન્ડ મંગાશે
શહેરના પિશોરીવાડામાં રહેતા પૂર્વ નગર સેવક અસ્લમ ઉર્ફે લાલો ઇબ્રાહિમ ઉર્ફે ગેમ્બલર કુરેશી, તેનો ભાઈ ભાજપ કોર્પોરેટર અબ્બાસ કુરેશી, જમાલવાડીના શાહબાઝ ઉર્ફે શહેબાઝ જાફર કુરેશી, સુખનાથ ચોક, અલહરમ એપાર્ટમેન્ટમાં રહેતો કરીમ આમદ સીડાની ગેમ્બલર ગેંગ વિરુદ્ધ મંગળવારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો. કેસમાં પોલીસે ચારેયની અટક કરી જેલહવાલે કરી દીધા હતા. એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યું કે, અસ્લમ, અબ્બાસ, શાહબાઝ અને કરીમની ગેમ્બલર સામે ખૂનની કોશિશ, ખંડણી, બળજબરીથી પૈસા કઢાવવા, આર્મ્સ એક્ટ, સરકારી તથા ખાનગી જમીન પડાવી લેવી, પોલીસ પર હુમલો સહિતના ગુના નોંધાયા હતા તેમજ થોડા દિવસ પહેલા મ્યુલ એકાઉન્ટ હન્ટ ઓપરેશન તપાસ દરમ્યાન 305 કરોડના સાયબર ફ્રોડના ગુનામાં પણ ગેમ્બલર ગેંગની સંડોવણી સામે આવી હતી. મંગળવાર ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ કુણાલ પટેલે ગેંગ વિરુદ્ધ એ ડિવિઝન માં ફરિયાદ કરી હતી જેના આધારે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમનો ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસનીશ ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે બુધવારે અસલમ ઉર્ફે લાલો, શાહબાઝ ઉર્ફે શહેબાઝ, કરીમ આમદનો ટ્રાન્સફર વોરંટના આધારે જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરી હતી. જેની સાથે અબ્બાસ ઈબ્રાહીમને ઉઠાવી લઈ તેની પણ અટક કરી પૂછપરછ હાથ ધરી હતી. વધુ તપાસ માટે ગુરુવારે આરોપીઓને ગુજસીટોક કોર્ટમાં રજુ કરી રિમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવશે.
સમસ્યા:ટીંબાવાડી અર્બન સેન્ટરમાં 5ની સામે 2 જ મેડિકલ ઓફિસર !
જૂનાગઢ શહેરમાં ખાડાની સાથે આરોગ્યક્ષેત્ર પણ મનપા ગંભીર નથી તેવુ સામે આવ્યુ છે. એક અરજદારે શહેરમાં મનપા હેઠળના 7 અર્બન સેન્ટરમાં મેડિકલ ઓફીસર, સ્ટાર્ફનર્સ, ફાર્માસીસ્ટ, એક્સરે ટેકનીશયન કેટલા મંજૂર છે સામે કેટલા ભરેલા છે સહિતની માહિતી મનપાના મેડિકલ ઓફીસર પાસે માંગતા સ્ટાફની ઘટ, મનપા ગંભીર નથી સહિતનુ સામે આવ્યુ હતુ. અરજદાર હમીર રામે જણાવ્યુ કે, શહેરના 7 અર્બન હેલ્થ સેન્ટરમાંના ટીંબાવાડી અર્બન સેન્ટર 60 બેડનુ મંજૂર થયેલુ છે. જેમાં કુલ 5 મેડિકલ ઓફીસર પર મંજૂર થયેલા છે. પરંતુ માહિતીમાં માત્ર 2 જ મેડિકલ ઓફીસર ભરેલા તેમજ 9 સ્ટાર્ફનર્સ સામે માત્ર 3 જ ભરેલા હોવાનુ ખુલ્યુ હતુ. તેમજ ટીંબાવાડી અર્બન હેલ્થ સેન્ટરમાં જો કોઇ દર્દી જાય તો તુરંત જ સિવિલ ખાતે રીફર કરી દેવામાં આવે છે પુરતી સારવાર આપવામાં આવતી નથી તેવા પણ અરજદારે આક્ષેપ કર્યા છે. શહેરના અર્બન હેલ્થ સેન્ટરોની વિગત1) આંબેડકરનગર - મેડિકલ ઓફીસર 1, સ્ટાફનર્સ 2, ફાર્માસીસ્ટ 1, એક્સ રે ટેકનીશયન 0, પટ્ટાવાળા 1 2) દોલતપરા - મેડિકલ ઓફીસર 1, સ્ટાફનર્સ 2, ફાર્માસીસ્ટ 1, એક્સ રે ટેકનીશયન 0, પટ્ટાવાળા 1 3) ગણેશ નગર - મેડિકલ ઓફીસર 1, સ્ટાફનર્સ 2ની સામે 1, ફાર્માસીસ્ટ 1, એક્સ રે ટેકનીશયન 0, પટ્ટાવાળા 1 4) શાંતેશ્વર - મેડિકલ ઓફીસર 1, સ્ટાફનર્સ 2, ફાર્માસીસ્ટ 1, એક્સ રે ટેકનીશયન 0, પટ્ટાવાળા 1 5) ટીંબાવાડી - મેડિકલ ઓફીસર 5ની સામે 2, સ્ટાફનર્સ 9ની સામે 3, ફાર્માસીસ્ટ 1, એક્સ રે ટેકનીશયન 1, પટ્ટાવાળા 2ની સામે 1 6) ગાંધીગ્રામ - મેડિકલ ઓફીસર 1, સ્ટાફનર્સ 2, ફાર્માસીસ્ટ 1, એક્સ રે ટેકનીશયન 0, પટ્ટાવાળા 1 7) નાકોડા (ભવનાથ) - મેડિકલ ઓફીસર 1, સ્ટાફનર્સ 2ની સામે 0, ફાર્માસીસ્ટ 1, એક્સ રે ટેક્નીશયન 0, પટ્ટાવાળા 1
વાતાવરણ:સોરઠમાં ઠંડી ઘટી, તાપમાન 1.5, બપોરે 2.9 ડિગ્રી વધ્યું
જૂનાગઢ સહિત સોરઠમાં એક દિવસની હાડ થીજવતી ઠંડી બાદ 24 કલાકમાં લઘુતમ તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો થતા લોકોને ઠંડીથી આંશિક રાહત મળી હતી. બુધવારની સવારે પારો 1.5 ડિગ્રી ઉપર ચડીને 7 ડિગ્રીએ પહોંચી ગયો હતો. આમ ઠંડીમાં ઘટાડો થતાં ગિરનાર દર્શન માટે આવેલા ભાવિકો સહિતના પ્રવાસીઓએ રાહત અનુભવી હતી. ગિરનારની માફક જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 1.5 ડિગ્રીના વધારા સાથે 12 ડીગ્રી નોંધાયું હતું. જોકે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણે 80 ટકા રહેતા ધુમ્મસ છવાઈ ગયું હતું. સવારથી પવનની પ્રતિક કલાકની ઝડપ 4.4 કિલોમીટરની રહેતા મહત્તમ તાપમાન પણ 2.3 ડિગ્રી વધીને 29.8 ડિગ્રી નોંધાયું હતું.
અરજદારોને ભારે મુશ્કેલી:કર્મીએ નોકરી મૂકી દેતા મનપાના આધારકાર્ડ સેન્ટરની 1 કીટ બંધ
પોરબંદરના મહાનગરપાલિકા ખાતે આધારકાર્ડ સેન્ટર આવેલ છે. આ સેન્ટરમાં 2 સિસ્ટમ મારફતે અરજદારોની કામગીરી કરવામાં આવતી હતી પરંતુ એક સિસ્ટમનું સંચાલન કરતા એક ઓપરેટર નોકરી મૂકી દેતા હાલ એક જ સિસ્ટમ મારફતે કામગીરી થઈ રહી છે જેથી હાલ કામગીરી અડધી થઈ છે.ત્યારે એજન્સી દ્વારા નવા કર્મીની નિમણૂક પણ કરી દેવામાં આવી છે પરંતુ તેમનું આઈ. ડી. જનરેટ ન થતા કામગીરી શરૂ થઈ નથી. મહાનગરપાલિકા કચેરી ખાતે પણ આધારકાર્ડ સેન્ટર કાર્યરત છે. પરંતુ આ સેન્ટર ખાતે આવેલ 2 સિસ્ટમમાંથી 1 સિસ્ટમનું સંચાલન કરતા કર્મીએ નોકરી મૂકી દેતા છેલ્લા ઘણા દિવસોથી આ સેન્ટર ખાતે એક જ સિસ્ટમ મારફતે આધારકાર્ડ કામગીરી કરવામાં આવી રહી છે.જેથી અરજદારોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. કામગીરી અડધી થઈ ગઈ અગાઉ બંને સિસ્ટમ કાર્યરત હતી ત્યારે 100 જેટલા અરજદારોની આધારકાર્ડ કામગીરી કરવામાં આવતી હતી ત્યારે હવે માત્ર 50 અરજદારોની આધારકાર્ડ કામગીરી થઈ રહી છે જેથી અન્ય અરજદારોને કામગીરી માટે અન્ય સેન્ટર ખાતે ધક્કા ખાવા પડી રહ્યા છે.
વાતાવરણ:પોરબંદરમાં મહતમ તાપમાન 1 ડિગ્રી ઘટીને 27 ડિગ્રી નોંધાયું
પોરબંદરમાં મહતમ તાપમાન 1 ડિગ્રી નીચું આવીને 27 ડિગ્રી નોંધાયું છે જયારે લઘુતમ તાપમાન 4 ડિગ્રી વધીને 15 ડીગ્રીએ પહોંચ્યું છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 45 ટકા યથાવત રહ્યું છે ત્યારે ઠંડીમાં આંશિક રાહત મળી છે. પોરબંદરમાં ઠંડા પવનના સુસવાટા સામે લોકોને આંશિક રાહત મળી છે. પોરબંદરમાં ગઈકાલે મંગળવારે મહતમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું હતું જેની સામે બુધવારે મહતમ તાપમાન 1 ડિગ્રી નીચું આવીને 27 ડિગ્રી નોંધાયું છે જેથી સવારના ભારે ઠંડીનો અહેસાસ થાય છે. પોરબંદરમાં ગઈકાલે મંગળવારે લઘુતમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું હતું જ્યારે બુધવારે લઘુતમ તાપમાન 4 ડિગ્રી વધીને 15 ડીગ્રીએ પહોંચ્યું છે જેને કારણે સાંજે ઠંડા પવનના સુસવાટામાં તો રાહત મળી છે, પરંતુ રાત્રિના સમયે લોકોને કકળતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. પોરબંદરમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ 45 ટકા યથાવત રહ્યું છે.
પોરબંદરમાં મનપાએ જુલાઈ માસમાં મિલકતમાં નામ ટ્રાન્સફરમાં ફી ઘટાડવાની જાહેરાત કર્યા બાદ હજુસુધી તેની અમલવારી કરી નથી જેને કારણે અરજદારો મુશ્કેલી વેઠી રહ્યા છે. મિલકત નામ ટ્રાન્સફરમાં ફરજિયાત હોય તેવા અત્યાર સુધીમાં 826 લોકોએ 43,10,985 રૂપિયા ભર્યા છે એટલેકે મનપાએ જાહેરાત કર્યા બાદ આ 827 લોકોએ વધુ રૂ.21.50 લાખ ચૂકવ્યા છે. અમલવારી થશે તેવી આશાએ હજુ 2 હજારથી વધુ લોકો ફી ઘટાડાની રાહ જોઈને મિલકતમાં નામ ટ્રાન્સફર કરાવતા નથી. ભરેલા રૂપિયા પરત મેળવવા ક્લેઈમ કરવાની લાંબી મસકત કરવી પડશે. પોરબંદર પાલિકાની બોડી દ્વારા મિલકત નામ ટ્રાન્સફરનો પણ ટેક્સ વધારી દેવામાં આવ્યો હતો, લોકોના રોષને પગલે મનપાના કમિશનરે નવા દર જાહેર કરી મિલકત નામ ટ્રાન્સફર ફીમાં જુના દર રહેણાંક મિલકતના નામ ટ્રાન્સફર માટેની ફી દસ્તાવેજની કિંમતના 0.50 ટકા હતા જેમાં નવા દર 0. 25 ટકા કરવામાં આવ્યા છે, જ્યારે કોમર્શિયલ મિલકતના નામ ટ્રાન્સફર ફીમાંજૂનો દર દસ્તાવેજની કિંમત પર 1 ટકા હતો જેમાં નવા દર અડધો ટકો કરવામાં આવ્યો છે. આ જાહેરાત ગત જુલાઈ 2025માં કરવામાં આવી હતી, પરંતુ હજુસુધી ઘટાડેલા ફીની અમલવારી કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છેકે, જુલાઈ 2025 થી ડિસેમ્બર 2025 સુધીમાં જિલ્લામાં કુલ 5710 દસ્તાવેજ થયા છે તેમાંથી પોરબંદર મનપા વિસ્તારની વાત કરીએ તો 2 હજારથી વધુ લોકોએ દસ્તાવેજ કરાવ્યા છે. મનપાએ જાહેરાત બાદ પણ નામ ટ્રાસફર ફીમાં ઘટાડાની અમલવારી ન કરાવી હોવા છતાં હાલ અતિ જરૂરિયાત વાળા 826 લોકોએ ડબલ રૂપિયા એટલેકે 43,10,985 રૂપિયા ચૂકવી નામ ટ્રાસફર કરાવ્યા છે. મનપાએ જાહેરાત કર્યા બાદ પણ વધુ ફી ઉઘરાવી પ્રજાના રૂ.21.50 લાખ ખંખેરી લીધા છે જ્યારે 2 હજારથી વધુ લોકો નામ ટ્રાન્સફર ફીમાં ઘટાડો થશે તેવી આશાએ નામ ટ્રાન્સફર કરાવતા નથી. ઉલ્લેખનીય છેકે, જેતે વખતે ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી એવું જણાવ્યું હતુકે, મિલકત નામ ટ્રાન્સફર માટે કાં તો અરજદારોએ રાહ જોવી પડશે અથવા તો જે રૂપિયા ભર્યા હશે તેને પરત મેળવવા ક્લેઇમ કરવો પડશે. હવે રૂપિયા પરત જોતા હોય તો ક્લેઇમ કરવા અરજદારોને લાંબી મસકત કરવી પડશે. દસ્તાવેજ બાદ 1 વર્ષ થાય તો પેનલ્ટી લાગે તેમ છે ઉલ્લેખનીય છેકે, દસ્તાવેજ બાદ નામ ટ્રાન્સફર કરવું અતિ જરૂરી બને છે, ખાસ કરીને બેંકમાં લોન લેવા માટે, બાંધકામની પરવાનગી માટે હાઉસ ટેકસમાં વેરાની પહોંચની જરૂર હોય છે, જો વેરા પહોંચમાં નામ ન ચડે તો કામ અટકી પડે છે. વધુમાં દસ્તાવેજ બાદ 1 વર્ષ થાય અને નામ ચડાવ્યું ન હોય તો પેનલ્ટી લાગે છે. દરખાસ્ત મૂકી છે - કમિશનરમિલકત નામ ટ્રાન્સફર માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં દરખાસ્ત મૂકી હતી પરંતુ ત્યાંથી ટેકનીકલી રીતે કવેરી આવી છે જેથી એ કવેરી સુધારી ફરીથી દરખાસ્ત કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. >એચ.જે. પ્રજાપતિ, કમિશન, મનપા, પોરબંદર પહેલા કેટલા રૂપિયા હતા ? પાલિકા હતી ત્યારે મિલકત નામ ટ્રાન્સફર માટે રહેણાંક મિલકતના રૂ.1 હજાર અને કોમર્શિયલ મિલકતની રૂ. 2 હજાર ફી હતી. પાલિકા બોડી એ જ ઠરાવ મંજૂરી લઈને રહેણાંક મિલકતના દસ્તાવેજ પર અડધો ટકો અને કોમર્શિયલ મિલકત પર દસ્તાવેજ કિંમત પર 1 ટકા ફીનો નિર્ણય કર્યો હતો. મનપા થતા જુલાઈમાં જાહેરાત કરી હતી કે, રહેણાંક મિલકતમાં 0.25 ટકા અને કોમર્શિયલમાં અડધા ટકા લેવામાં આવશે .
ન્યાયિક માંગ:‘ભાગિયા’ કેમ ઉપેક્ષિત? પાક નુકસાનીનીસહાયમાં મજૂરોને 30% હિસ્સો આપવા માંગ
ગુજરાતના ખેતી ક્ષેત્રે ભાગિયા કે ઉચક મજૂરી પર કામ કરતા લાખો ખેત મજૂરોની આર્થિક પાયમાલીના મુદ્દે આજે સુરેન્દ્રનગર ખાતે વિરોધનો સૂર ઉઠ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને આદિવાસી પરિવાર મજૂર સંગઠન દ્વારા સંયુક્ત રીતે પદયાત્રા યોજીને સરકાર સમક્ષ એક મહત્વપૂર્ણ અને ન્યાયિક માંગણી રજૂ કરવામાં આવી છે. ગુજરાતના ખેતી ક્ષેત્રે ભાગિયા કે ઉચક મજૂરી પર કામ કરતા લાખો દલિત, આદિવાસી અને પછાત વર્ગના ભૂમિહીન ખેત મજૂરો આજે આર્થિક પાયમાલીનો સામનો કરી રહ્યા છે. ખેતીની પ્રવર્તમાન પદ્ધતિ મુજબ, જમીન માલિકો માત્ર રોકાણ કરે છે, જ્યારે વાવણીથી લઈને લણણી સુધીની રાત-દિવસની સખત મજૂરી આ મજૂરો કરે છે. જ્યારે અતિવૃષ્ટિ, વાવાઝોડું કે દુષ્કાળ જેવી કુદરતી આફતો આવે છે, ત્યારે સરકાર દ્વારા SDRF અને NDRF અંતર્ગત ચૂકવવામાં આવતી સહાય હેક્ટર મજૂરને એક રૂપિયો પણ મળતો નથી. જેના કારણે તે દેવાના ડુંગર નીચે દબાઈ રહ્યો છે. માંગણી છે કે, સરકાર દ્વારા જમીન માલિકોને અપાતી સહાય સિવાયનુ વધારાનુ પેકેજ જાહેર કરી મજૂર/ભાગિયાને ચૂકવવામાં આવે. તે આજરોજ સુરેન્દ્રનગર ખાતે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા આદિવાસી પરીવાર મજૂર સંગઠનના સંયુક્ત રીતે પદયાત્રા યોજી અમો આ આવેદન પત્ર પાઠવી રહ્યા છીએ. આશા છે કે સરકાર ગરીબ મજૂરોની વેદના સમજશે અને ન્યાય આપશે. કુદરતી આફતમાં પાક નિષ્ફળ જતાં માત્ર ખેત માલિકોને જ લાભખેતીની પ્રવર્તમાન પદ્ધતિમાં જમીન માલિકો મૂડી રોકાણ કરે છે, પરંતુ વાવણીથી લણણી સુધીની સખત મજૂરી ખેત મજૂરો કરે છે. જ્યારે અતિવૃષ્ટિ કે વાવાઝોડા જેવી કુદરતી આફતો આવે છે, ત્યારે સરકાર દ્વારા હેક્ટર દીઠ જે 22,000 જેવી સહાય ચૂકવાય છે. તે સીધી જમીન માલિકના ખાતામાં જમા થાય છે. પાક નિષ્ફળ જવાથી મજૂરની આખા વર્ષની મહેનત પણ એળે જાય છે, છતાં તેને વળતર તરીકે એક રૂપિયો પણ મળતો નથી. { નૌશાદ સોલંકી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
કમૂરતાને લીધે લગ્ન સહિતના શુભકાર્યોને બ્રેક લાગી હતી. એસટી બસ અને ડેપોમાં પણ મુસાફરોની પાંખી હાજરી જોવા મળે છે. બસ મોટાભાગની ખાલી દોડાવવી પડી રહી હતી. પરંતુ કમૂરતાં ઉતરતા જ ચારેબાજુ લગ્નસરાની સિઝન જામવાની છે. તેની અસર અત્યારથી જ સુરેન્દ્રનગર એસટીમાં જોવા મળી રહી છે. હાલ સુરેન્દ્રનગર એસટી ડેપોમાં જાન્યુઆરથી ફેબ્રુઆરી એટલે કે બે માસની લગ્નની સિઝન માટે 8 બસનું બુકિંગ લોકોએ તા. 20 જાન્યુઆરી સુધીમાં કરાવ્યું હતું. કમૂરતા બાદ માત્ર ડેપોમાં બસનું બુકિંગ કરાયું હતું. 1 કિમીનું રૂ. 42 ભાડુ છે અને 51 સીટની બસ લગ્ન માટે ફાળવવામા આવે છે. જો કે, એસટી બસના ભાડા વધતા તેની અસર દેખાઇ હોય તેમ હજુ ડેપોમાં ધીમી ગતિએ લગ્ન માટે બસનુ લોકો બુકિંગ કરાવી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. અઠવાડીયામાં 20 ટકા ડિપોઝિટ જમા કરાવી પડેએસટી બસનું જો લોકોએ શુભ પ્રસંગ માટે બુકિંગ કરાવવું હોય તો 15 દિવસમાં બસ નોંધાવી જરૂરી છે. આ ઉપરાંત જે અંતર મુજબનું એસટી ભાડુ થતુ હોય તેના 20 ટકા રકમ ડિપોઝીટ તરીકેની રકમ પણ અઠવાડીયામાં જમા કરાવી પડે સહિતના નિયમો છે. { ડી.વી. ચૌધરી, ડેપો મેનેજર, સુરેન્દ્રનગર એસટીની વેબસાઈટ પર બસનું બુકિંગ ઓનલાઈન કરાવી શકશે લગ્ન માટેની બસ બુકિંગ ઓનલાઈન થઇ શકશે. એસટી નિગમની વેબસાઈટ અપડેટ કર્યા બાદ જાનૈયાઓએ લગ્નપ્રસંગે લઇ જવાની બસનું બુકિંગ હવે આંગળીના ટેરવે ઓનલાઈન કરાવી શકશે. https://www.gsrtc.in વેબસાઈટ પર હાયર બસ ઓપ્શનમાં જઈને યાત્રિક ઓનલાઈન બસનું બુકિંગ કરી શકશે.
ફૂડ વિભાગે તપાસ હાથ ધરી:સ્વચ્છતા ન જાળવતાં મહેસાણાના પાણીપુરી વેચતા 23 વેપારીઓને ફૂડ વિભાગની નોટિસ
મહેસાણાના 26 જેટલા પાણીપુરીની લારીઓ અને સ્ટોલના વેપારીઓને ત્યાં ફૂડ વિભાગે તપાસ હાથ ધરી હતી. જેમાં આ ચાર સ્થળેથી બાફેલા બટાકા, ડુંગળી અને તૈયાર મસાલાનો નાશ કરાયો હતો. તેમજ સ્વચ્છતા નહીં જાળવનાર 23 વેપારીઓને નોટિસ આપી હતી. 10 દિવસ બાદ ફરીથી ચેકિંગમાં સ્વચ્છતા નહીં હોય તો તેમની સામે અધિક કલેક્ટરની કોર્ટમાં કેસ દાખલ કરાશે. ગાંધીનગરમાં ટાઈફોઇડ સહિતના વકરેલા રોગચાળા બાદ ઊંઝા શહેરમાં પાણીપુરીના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ કરાયો હતો. ત્યારે મહેસાણામાં પણ પાણીપુરીને લઈ કોઈ રોગચાળો ફાટી ન નીકળે તે માટે જિલ્લા ફૂડ વિભાગ ની ટીમે 19 અને 20 જાન્યુઆરીએ શહેરમાં પાણીપુરી વેચતી 26 લારીઓ અને સ્ટોલ પર તપાસ કરી હતી. જ્યાંથી પાણીપુરીનું પાણી, બાફેલા બટાકા, ચણા, ચટણી, ઝીણી સેવ, ગ્રીન ચટણી, રગડો, ચણા, બટાકા સહિતના 46 સેમ્પલ લીધા હતા. પરા વિસ્તારની વૃંદાવન પકોડીમાંથી બાફેલા ખરાબ બટાકા અને ચણા, કાપેલી ડુંગળી અને મસાલો, જ્યારે સાંઈબાબા રોડની ન્યુ રાજ પકોડી અને બિલાડી બાગ પાસેની કિશોર અને કિશન પકોડીમાંથી ખરાબ બટાકા, તળેલું તેલ અને ફૂગ લાગેલી ટામેટા પેસ્ટનો નાશ કર્યો હતો.
માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરવા પાટણની ધરતી પર દિવ્યાંગો માટે એક વિશેષ સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.મુંબઈની રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી ક્રિષ્ના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પાટણના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિનામૂલ્યે સાધન સહાય કેમ્પનું આયોજન કરાયું છે. પાટણની ગોપાલક શૈક્ષણિક સંકુલ ખાતે દિવ્યાંગ લાભાર્થીઓ માટે નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું છે.જે અંતર્ગત પોલિયોગ્રસ્ત વ્યક્તિઓને કેલીપર્સ આપવામાં આવશે.આ ઉપરાંત, અકસ્માત કે અન્ય કારણોસર જેમના ઘૂંટણથી ઉપર કે નીચેના પગ કપાયા હોય તેવા વ્યક્તિઓને આધુનિક જયપુર ફૂટ અને રત્નનિધિ લેગ બેસાડવામાં આવશે.આ સાધનો થકી દિવ્યાંગો અન્ય પર નિર્ભર રહેવાને બદલે સ્વાવલંબી બની શકશે. ક્રિષ્ના ગ્રુપ પાટણના પ્રમુખ કિરણ દેસાઈએ જણાવ્યું હતું.પાટણ સહિત વાવ થરાદ બનાસકાંઠા અને મહેસાણા માંથી 50 થી વધારે રજિસ્ટ્રેશન થયા છે. 25 જાન્યુઆરી સુધી રજિસ્ટ્રેશન થઈ શકશે ત્યારબાદ 30-31એમ બે દિવસ પાટણ ખાતે હાથપગના માપ લેવામાં આવશે.કુલ 200 રજિસ્ટ્રેશનનો ટ્રાગેટ છે.કૃત્રિમ હાથપગ મળવા થી દિવ્યાંગો આત્મનિર્ભર થશે અને પોતાના રોજિંદા કામો સરળતાથી કરી શકશે.
પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં યુનેસ્કો અને રાજ્ય સરકારના સહયોગથી આયોજિત સાયબર સિક્યુરિટી ટ્રેનિંગમાં પ્રથમ વાર ઉદ્ઘાટનમાં સમયનો બગાડ કર્યા વિના સીધી સાયબર સિક્યુરિટી અંગે તાલીમ શરૂ કરાતા વિદ્યાર્થીઓએ આ અભિગમને વધાવ્યો હતો. યુનિવર્સિટી કેમ્પસમાં કવચ કેન્દ્ર દ્વારા દરેક કોલેજો માંથી બે વિદ્યાર્થીઓને બોલાવીને આજના સમયમાં થઈ રહેલા ડિજિટલ એરેસ્ટ સહિતના સાયબર ક્રાઈમ અંગે બચાવ અને જાગૃતતા માટે યુનેસ્કો તરફથી નિષ્ણાતોમાં મહંમદ અફઝલ, અન્વિતા પરમાર, કથા રે, અનુષ્કા વર્મા, મજહર મોહીન અને મીનલ છેડા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને 10 થી 4 6 કલાક સુધી પ્રેક્ટિકલ સાથે તાલીમ આપી હતી. જેમાં ત્રણ શબ્દો વચ્ચેનો ભેદ સમજાવ્યો, જે દરેક સોશિયલ મીડિયા યુઝર માટે જરૂરી છે.જેમાં ઇન્ફોર્મેશન - સાચી માહિતી , મિસઇન્ફોર્મેશન - અજાણતા ફેલાતી ખોટી માહિતી અને ડિસઇન્ફોર્મેશન - કોઈને નુકસાન પહોંચાડવા જાણી જોઈને ફેલાવાતી અફવા અંગે સમજૂતી આપી હતી. સાથે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ કેસ સ્ટડી અને ગેમ્સ દ્વારા જકડી રાખ્યા હતા. યુનેસ્કોના નિષ્ણાતોએ મોબાઈલ સેટિંગ્સ અને પ્રાઈવસી જાળવવાની ગુપ્ત ટ્રિક્સ શીખવી હતી. તાલીમ પામેલા આ 113 વિદ્યાર્થીઓ હવે પોતાની કોલેજમાં અન્ય મિત્રોને અને આસપાસના લોકોને જાગૃત કરશે. ગેમ અને કેસ સ્ટડી દ્વારા સ્માર્ટ લર્નિંગ નોડલ ઓફિસર ડૉ. હેતલ પટેલના માર્ગદર્શન હેઠળ આ તાલીમ માત્ર લેક્ચર બનીને ન રહી વિદ્યાર્થીઓ માટે સાયબર સિક્યુરિટી ગાર્ડ બનવા માટેની તાલીમ જેવો અહેસાસ કર્યો હતો. આ તાલીમમાં 58 કોલેજના 113 વિદ્યાર્થીઓ જોડાયા હતા. ડિજિટલ એરેસ્ટથી ડરશો નહીં, આ રીતે બચો આજકાલ સીબીઆઈ કે પોલીસના નામે વીડિયો કોલ કરી લોકોને ડરાવી ‘ડિજિટલ એરેસ્ટ’ કરવાની છેતરપિંડી વધી છે. નિષ્ણાતોએ જણાવ્યું કે, કોઈ પણ સરકારી એજન્સી વીડિયો કોલ પર ધરપકડ કરતી નથી. આવા સમયે ગભરાવાને બદલે તાત્કાલિક સાયબર હેલ્પલાઈનનો સંપર્ક કરવો. મોબાઈલ પર આવતા શંકાસ્પદ મેસેજ કે લિંક પર ક્લિક ન કરવું એ જ સુરક્ષા છે.
પાટણ જિલ્લાના બે મુખ્ય મથકો રાધનપુર અને સિદ્ધપુરમાં પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જે અંતર્ગત રાધનપુરમાં 149 અને સિદ્ધપુર શહેરમાં 99 કેમેરા નેટવર્કથી સજ્જ કરવામાં આવી રહ્યા છે. છેલ્લા એક વર્ષના અનુભવમાં આ ડિજિટલ વોચ ગુનાખોરી ડામવા અને ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવા ઉપયોગી સાબિત થઈ છે. રાધનપુર પીઆઈ આર.કે. પટેલે જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં CCTV કેમેરા પોલીસ માટે જમણા હાથ સમાન સાબિત થયા છે. ખાસ કરીને વાહનચોરીના બનાવોમાં કેમેરાના ફૂટેજને કારણે ગુનેગારોની ચોક્કસ ઓળખ થઈ રહી છે, જેના કારણે આવી ઘટનાઓ પર સીધો અંકુશ આવ્યો છે. ઘરફોડ ચોરી હોય કે શરીર સંબંધી ગુનાઓ, કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો કોર્ટમાં પણ ઠોસ પુરાવા તરીકે રજૂ કરવામાં ખૂબ જ ઉપયોગી બની રહ્યા છે. હવે ગુનેગાર માટે ગુનો કરીને છટકી જવું મુશ્કેલ છે. સિદ્ધપુર લૂંટના આરોપીઓ CCTVથી પકડાયા હતા સિદ્ધપુર પીઆઈ જે.બી. આચાર્યએ તાજેતરની એક મહત્વની સફળતાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે શહેરમાં બનેલી લૂંટની ઘટનામાં ઈક્કો કારના નંબર અને આરોપીઓની ગતિવિધિ સીસીટીવીમાં ટ્રેસ થવાથી મોટો ગુનો ગણતરીના સમયમાં ડિટેક્ટ કરી શકાયો હતો. કેમેરાના કારણે લોકોમાં પણ એક પ્રકારની શિસ્ત આવી છે. જ્યારે ગુનેગારને ખબર હોય કે તે સતત નિરીક્ષણ હેઠળ છે, ત્યારે ક્રાઈમ રેટમાં આપોઆપ ઘટાડો જોવા મળે છે. ગુના ડિટેક્શનમાં આ રીતે CCTV ઉ પયોગી બને છે નંબર પ્લેટની ઓળખ: ભાગતા વાહનોના નંબર ટ્રેસ કરવામાં સરળતા. રિઅલ-ટાઈમ મોનિટરિંગ: શંકાસ્પદ હિલચાલ પર તુરંત એક્શન. મજબૂત પુરાવા: સાક્ષીઓની ગેરહાજરીમાં ફૂટેજ કોર્ટમાં નિર્વિવાદ પુરાવા બને છે. અકસ્માતમાં સહાય: માર્ગ અકસ્માતમાં ઘટનાનું સાચું કારણ જાણવામાં ઉપયોગી.
સરસ્વતીના વાગડોદ પંથકમાં વરીયાળીનું 70 હેકટર વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવેલ છે .જ્યારે હાલ વરીયાળીના પાકમાં ફુલભમરી બેસવાની તૈયારીમાં છે. ત્યારે વરીયાળીના પાકમાં કાળી ઈયળોનો પગપસેરો થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. સરસ્વતીના વાગડોદ પંથક પિયત વિસ્તાર હોવાથી અને દાંતીવાડા અને સુજલામ સુફલામ્ કેનાલના પાણીની સુવીધા હોવાથી ખેડૂતોએ શિયાળામા 70 હેકટરમાં વરીયાળીનું વાવેતર કરેલ છે. હાલ વરીયાળીના પાકમાં ફાલ અને દાણા આવી ગયા હોવાથી પાક નિકળવાની તૈયારમાં છે. વરીયાળીના પાકમાં કાળી ઈયળોનો ઉપદ્રવ જોવા મળતા પાકને નુકશાન થવાનો ભય સતાવી રહ્યો છે. ખેડૂત ચેતનજી ઠાકોર સહિત ખેડૂતોએ જણાવ્યું કે વરીયાળીના પાકનું વાવેતર કરી સારી કમાણી કરવાની ખેડૂતોને આશા હતી. પરંતુ વરીયાળી પાક ઉપર થોડા દિવસથી ઈયળોનો ઉપદ્રવ જોવા મળતાં ખેડૂતોએ પંપ દ્વારા દવાનો છંટકાવ કરી પાક બચાવવાની મથામણ કરી રહ્યા છે. આ અંગે સરસ્વતી ખેતીવાડી અધિકારી સુરેશભાઈ ચૌહાણ અને નિલમબેન ચૌધરીએ જણાવ્યું કે વરીયાળીના પાકમાં કાળી ઈયળો અને જીવાત ઝાકળને લીધે આવે છે. અને કાળી મચ્છી વરયાળીના દાણા ચુસી જાય છે તેથી નુકશાન થાય છે. તેથી પાકને બચાવવા ઈમામેકટીન ઈસી -25% એક પંપમા 10 ગ્રામ પ્રમાણે દવાનો છંટકાવ કરી નિયંત્રણ મેળવી શકાય છે.
સિદ્ધપુર નજીક ડિંડરોલ હાઈવે પર કાર ઝાડ સાથે અથડાતા એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાયા હતા.કાકોશી પીએસઆઇ પી.વી ચૌધરીએ જણાવ્યું હતું કે ગાડી કાકોશીથી ડીંડરોલ તરફ જઈ રહી હતી 90 ડિગ્રીનાં વળાંકમાં ગાડી ખાડામાં ઉતરી ગઈ હતી. સિદ્ધપુરનાં કાકોશી ડિંડરોલ રોડ પર રાત્રિના સમયે પસાર થઈ રહેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં માર્ગની બાજુમાં આવેલા ઝાડ સાથે અથડાતાં કારનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. અકસ્માતમાં કારમાં સવાર સરસ્વતી તાલુકાના મેસર ગામનો 21 વર્ષીય કિશન બબાભાઈ પટેલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. રાજુભાઈ સોમાભાઈ પંચાલ અને અમદાવાદના જીતુભા મોહનસિંહ ઝાલાને ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તે પૈકી રાજુભાઈ પંચાલને વધારે ઇજાઓ હોવાથી ધારપુર સિવિલ ખાતે રીફર કરાયો છે, જ્યારે જીતુભા ઝાલાને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિદ્ધપુર સિવિલ ખસેડ્યા છે. કાકોશી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અકસ્માતગ્રસ્ત વાહનને હટાવી ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. કાકોશી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી અકસ્માત વધુ તપાસ શરૂ કરી છે.
સાબરકાંઠા જિલ્લાની ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં સામાન્ય પ્રવાહના પાયાના વિષયો ભણાવવા માટે લાયક શિક્ષકોનો દુષ્કાળ સર્જાયો છે. હાલમાં જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં સામાજિક વિજ્ઞાન, ભૂગોળ, મનોવિજ્ઞાન અને તત્વજ્ઞાન જેવા મહત્વના વિષયોમાં કુલ 95 જેટલી જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે. વિજ્ઞાનપ્રવાહ પ્રત્યે વિદ્યાર્થીઓ અને વાલીઓની વધતી રૂચિ તેમજ નવી ભરતીના અભાવે હવે માનવતાવાદી વિષયોના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે જિલ્લાની ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં ખાસ કરીને મનોવિજ્ઞાન અને ભૂગોળ જેવા વિષયોમાં શિક્ષકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી ભરતીના અભાવે અને નિવૃત્ત થતા શિક્ષકોની જગ્યા ન ભરાવાને કારણે શૈક્ષણિક કાર્ય પર માઠી અસર પડી રહી છે. તત્વજ્ઞાન અને રાજ્યશાસ્ત્ર જેવા વિષયો તો હવે ગણતરીની શાળાઓમાં જ જોવા મળે છે. સાબરકાંઠામાં ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ભૂગોળના 15, તત્વજ્ઞાનના 13, મનોવિજ્ઞાનના 14, સંસ્કૃતના 9, સામાજીક વિજ્ઞાનના 23 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. જયારે માધ્યમિક શાળાઓમાં સામાજીક વિજ્ઞાનના 21 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. ઘણી ઓછી કોલેજમાં મુખ્ય વિષય તરીકે ભણાવાય છેઅખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખ મિતેષભાઇ ભટ્ટના જણાવ્યા અનુસાર કેટલાંક વિષયોમાં કોર્ટ કેસ ચાલુ છે જેના કારણે તે વિષયોમાં ભર્તી થઇ શક્તી નથી. આ ઉપરાંત ખૂબ જ ઓછી કોલેજોમાં આ વિષયો મુખ્ય વિષયો તરીકે ભણાવવામાં આવે છે તથા વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન કક્ષાએ આ વિષયો પસંદ ન કરતા હોવાથી ભવિષ્યમાં B.Ed. કરીને આવતા શિક્ષકોની સંખ્યા ઘટી ગઈ છે. પરિણામે, શાળાઓને લાયક ઉમેદવારો મળી રહ્યા નથી. જો આ પરિસ્થિતિ જળવાઈ રહેશે, તો આગામી સમયમાં સાબરકાંઠાના ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓને માનવતાવાદી વિષયોમાં ઉચ્ચ શિક્ષણ મેળવવું દુર્લભ બની જશે.
હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે પર તાજપુર નજીક સોમ મંગળવારની રાત્રે એક વાગ્યે આઇસર ટ્રકને ચિલોડા તરફથી આવી રહેલ ટ્રકના ચાલકે પાછળના ભાગે જોરદાર ટક્કર મારતા કામ કરી રહેલ કારીગર માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે લઈ જતા તબીબે મૃત જાહેર કર્યો હતો. આયશરને ટક્કર મારનાર ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો ઈડરના નઈમભાઈ સલીમભાઈ મેમણની આયસર નંબર જીજે-06-એયુ- 1918 લઈને તા.19/01/26ના રોજ બપોરે નુરખાન શેરખાન પઠાણ અમદાવાદ ગયા હતા અને કઠવાડાથી સામાન ભરી પરત આવવા દરમિયાન સાડાનવેક વાગે તાજપુર નજીક કંગારૂ ફેક્ટરી આગળ ક્લચ બગડી જવાથી આયશર ઉભી કરી દઈ જાણ કરતાં નઈમભાઈ કારીગરો લઈને પહોંચ્યા હતા અને ગાડીનું રિપેરીંગ ચાલી રહ્યુ હતું. તે દરમિયાન રાત્રે એકાદ વાગ્યાના સુમારે ચિલોડા તરફથી આવી રહેલ ટ્રકે આયશરને પાછળથી જોરદાર ટક્કર મારતા આઈશર નીચે કામ કરી રહેલ નદીમમીયા સ/ઓ અબ્બાસમીયા હુસૈનમીયા ચૌહાણ (રહે. કેજીએન સોસાયટી, ધરોઈ રોડ વડાલી) ને માથાના ભાગે અને શરીરે ગંભીર જાઓ થઈ હતી ટ્રક ટ્રેલર નંબર જીજે-12-એક્સ- 11:30 નો ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. નદીમમીયાને સારવાર અર્થે પ્રાંતિજ સીએચસી માં લઈ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા બાદ અંગે નઈમભાઈ મેમણે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર દ્વારા એક ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્વહસ્તે લિખિત અમૂલ્ય ગ્રંથ ‘શિક્ષાપત્રી’ની 200મી જયંતી નિમિત્તે આગામી તા. 23થી 25 જાન્યુઆરી દરમિયાન હીરાપુર ખાતે ત્રિદિવસીય મહોત્સવ ઉજવાશે. આ મંગલ પ્રસંગે કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજી દ્વારા તૈયાર કરાયેલા વિશિષ્ટ ગ્રંથ ‘શિક્ષાપત્રી મંથન’નું વિમોચન કરવામાં આવશે. આ ગ્રંથની વિશિષ્ટતા અંગે સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે, ‘શિક્ષાપત્રી મંથન’માં 25 જેટલા વિવિધ વિષયો પર ઊંડાણપૂર્વક વિવેચન અને પ્રેરણાદાયી પ્રસંગો ટાંકવામાં આવ્યા છે. આ ગ્રંથની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે, ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં જે આજ્ઞાઓ આપી છે, તેની સાથે ભારત સરકારની આઈ.પી.સી. (IPC) કલમો પણ દર્શાવવામાં આવી છે. આ પાછળનો હેતુ એ સમજાવવાનો છે કે શિક્ષાપત્રીની આજ્ઞાનો લોપ કરવાથી વ્યક્તિ માત્ર ધાર્મિક રીતે જ નહીં, પરંતુ કાયદેસર રીતે પણ સરકારી ગુનેગાર ઠરે છે. ગ્રંથ પર 19થી વધુ મહાનુભાવોના મંતવ્ય 25 પ્રકરણોમાં જીવનના તમામ પાસાઓનું વિશ્લેષણ આ ગ્રંથમાં નૈતિક સદાચાર, ધર્મ આચરણ, વ્યવહારિક અને સામાજિક નીતિ, વ્યસનમુક્તિ, આહાર શુદ્ધિ, અહિંસા અને જ્ઞાન-ભક્તિ જેવા કુલ 25 પ્રકરણો પાડવામાં આવ્યા છે. આ ગ્રંથ પર દેશ-વિદેશના 19થી વધુ મહાનુભાવોએ પોતાના મંતવ્યો આપ્યા છે. જેમાં બી.એ.પી.એસ.ના મહંતસ્વામી મહારાજ, ગુજરાતના મુખ્યમંત્રી, હરદ્વારના આચાર્ય મહામંડલેશ્વર ડો. સ્વામી કૈલાશાનન્દ ગિરીજી, લંડનના સી.બી. પટેલ અને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખો સહિતના અનેક વિદ્વાનોએ શાબ્દિક પુષ્પાંજલિ અર્પણ કરી છે.
મોરબીમાં રહેતા મચ્છુકાંઠા ભરવાડ સમાજની બેઠક મહેન્દ્ર પરા વિસ્તારમાં આવેલા મચ્છુ માં ની જગ્યા ખાતે મળી હતી. આ બેઠકમાં ભરવાડ સમાજમાં વર્ષોથી ચાલી આવતા રિવાજોને તીલાંજલિ આપવા અને લગ્ન પ્રસંગ તેમજ અન્ય સામાજિક પ્રસંગોમાં થતા મોટા ખર્ચાઓ પર અંકુશ લાવવામાં આવે તેવા નિર્ણય સર્વ સંમતિથી લેવામાં આવ્યા હતા સાથે સાથે સમાજનું એક બંધારણ નક્કી કરવામાં આવ્યું છે. આ નવા બંધારણ મુજબ બાળકોના શિક્ષણ પર વધુ ધ્યાન આપવા ખાસ પહેલ કરવામાં આવી છે સમાજ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી યુવક-યુવતીઓનો સ્નાતક સુધીનો અભ્યાસ પૂર્ણ થાય બાદ જ સગાઈનો આગ્રહ રાખવો. ભણતર પૂર્ણ થયા બાદ જ લગ્ન કરવા, ઉપરાંત દીકરા-દીકરીના લગ્ન સમાજના સમૂહ લગ્ન નેસડા વિવાહ કે કુટુંબ વિવાહમાં વર્ષમાં એક દિવસે જ કરવાનો આગ્રહ રાખવા નિર્ણય લેવામાં આવ્યું છે. દીકરીના સગપણ આપતી વખતે 6 તોલાથી વધુ સોનું ન લેવા તેમજ સામે- સામે સગપણ હોય તો 4 તોલાથી વધુ સોનું ન લેવા નિર્ણય લેવામાં આવ્યો છે. લગ્નની છાબમાં વધુમાં વધુ દીકરા પક્ષે 21000 રૂપિયા જ આપી શકશે . આ ઉપરાંત જમાઈ કરવા કે દીકરી વહુના આણા પાથરવાની પ્રથા પણ બંધ કરવામાં આવી છે તો શ્રીમંત પ્રસંગે પણ વધુમાં વધુ એક તોલું સોના આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ ઉપરાંત મામેરા પ્રસંગે લગ્ન લઈ જવાના પ્રસંગે તેમજ અલગ-અલગ પ્રસંગમાં પણ મહેમાનોની સંખ્યા મર્યાદિત કરવામાં આવી છે. લગ્નમાં ફટાકડા ફોડવા,વરરાજાની એન્ટ્રી, રૂપિયાની ઘોર કરવી જેવી વિધિ પર પણ પ્રતિબંધ કરવામાં આવી છે લગ્ન પહેલાં પ્રી-વેડિંગ, હલ્દી, મહેંદી, રિસેપ્શન કંકુ પગલા જેવી સોશિયલ મીડિયાથી આકર્ષિત રસમોથી પણ દૂર રહેવા સમાજના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત મરણ પ્રસંગે પણ બેસણાના પ્રસંગોમાં પણ એક વખત બેસણા થયા બાદ ફરી બીજી વખત પાણી ઢોરની વિધિ કરવા ઉપર પણ પ્રતિબંધ મૂકયો છે ત્યારે વાસણ તથા પણ સંપૂર્ણપણે સમાજ દ્વારા પ્રતિબંધિત કરવામાં આવી છે આ ઉપરાંત પ્રતિબંધિત કે કે નશા યુક્ત પદાર્થોના વ્યસનો ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જ્યારે ડાયરાની થાળીમાં પણ મુખવાસ સિવાય અન્ય કોઈપણ વસ્તુ ન મુકવા સમાજ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.આ તમામ નિર્ણય મોરબી મચ્છુ કાંઠાના ૭૦ ગામના ભરવાડ સમાજના આગેવાનો અને સમાજના બહોળી સંખ્યામાં હાજર લોકો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારતની નજીક આવી રહ્યું છે તેમ તેમ વાતાવરણમાં બદલાવા જોવા મળી રહ્યો છે. ઠંડીનું પ્રમાણમાં અચાનકના વધ ઘટ જોવા મળી છે. તેમાં પણ ઉતરાયણ પર્વ બાદ થી જ ઠંડીનું જોર ઘટી ગયું છે, આ દિવસોમાં માત્ર રાત્રિથી સવાર સુધી જ રહેતી હોય અને દિવસ દરમિયાન ગરમી રહેતી હોવાથી બે મહિના સુધી મિશ્ર ઋતુ જેવુ વાતાવરણ રહ્યા બાદ પોષ મહિનો શરૂ થતાં જ ઠંડીમાં ભારે ચમકારો આવ્યો હતો. જેમાં પોષ મહિનામાં શિયાળાનો અસ્સલ મિજાજ જોવા મળ્યો હતો અને લઘુતમ તાપમાનનો પારો સતત ગગડતા હાડ થીજવતી ઠંડી પડી હતી. ઠંડીની મૌસમમાં પહેલીવાર ગરમ વસ્ત્રોમાં પણ જનજીવન ધ્રુજી ઉઠ્યું હોય એવી કડકડતી ઠંડીની અનુભૂતિ થઈ હતી. જો કે આખો દિવસ ગરમ વસ્ત્રો. પહેરી રાખવા અને તાપણું કરવા છતાં ટાઢ ઊડતી ન હતી. આવી કાતિલ ઠંડી હોય પણ એકસરખા વાતાવરણમાં જનજીવન આરોગ્ય વર્ધક રહ્યું હતું. પણ મોસમે ફરી કરવટ બદલી હતી. ઉતરાયણ પર્વ બાદ થી ઠંડીમાં ઘટાડો થયો છે. અત્યારે લઘુતમ તાપમાન 13 થી 15 ડીગ્રી અને મહતમ તાપમાન 30 થી 34ની આસપાસ છે. એટલે અત્યારે મિશ્ર ઋતુ જ છે પણ હવે આજે એટલે તા.22થી એક સપ્તાહ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે. હવામાન ખાતાના આગાહી મુજબ લઘુતમ તાપમાન 10 થી11 ડીગ્રી રહેવાની શકયતા હોય રાત્રીથી સવાર સુધી ઠંડીનું જોર રહેશે અને મહત્તમ તાપમાન 30 થી 32 ડીગ્રી રહેવાની શક્યતા. હોવાથી આખો દિવસ ગરમીનું જોર રહેશે. એટલે આ સપ્તાહે ફરી મિશ્ર ઋતુનું વાતાવરણ જનજીવન પર ભારે પ્રભાવ પાડી શકે એમ છે. જ્યારે હવામાન વિભાગ તરફથી આ સપ્તાહે વાતાવરણ શુદ્ધ અને ચોખ્ખું રહેવાની શક્યતા દર્શાવામાં આવી છે. એટલે કૃષિ ક્ષેત્રે ખેડૂતોને કોઈ ચેતવણી આપવામાં આવી નથી. માત્ર ખેડૂતોને યોગ્ય રીતે રવીપાકનું જતન કરવાની સલાહ આપવામાં આવી છે. મિશ્ર ઋતુમાં સ્વાસ્થ્યની તકેદારી રાખવાની સૂચનાશિયાળો આમ તો આરોગ્ય વર્ધક ગણાય છે. તબીબોના મતે ખાનપાન અને નિયમિત વ્યાયામ તેમજ આર્યુવેદીક ઉકાળાનું પણ નિયમિત સેવન કરીને આરોગ્યની યોગ્ય કાળજી લેવામાં તો આ સીઝનમાં બેવડી ઋતુથી થતી વાયરલ બીમારીથી બચી શકાય. શિયાળામાં ખોરાક વધુ ભાવે એટલે એનો.મતબલ એવો નથી જેટલું ભવે એટલું બધું ખાઈ જવું, વધુ ખોરાક હેલ્ધી હોય તો પણ રોગી ન બનાવે એ રીતે પર્યાપ્ત માત્રામાં લેવો અને યોગો તેમજ નિયમિત વ્યાયામ કરવો. જો કે અગાઉ બે મહિનામાં બેવડી ઋતુને કારણે વાયરલ બીમારીઓ વધી હતી. પણ ઠંડીનું જોર વધતા ધીરેધીરે આ બીમારીઓ ઓછી થવા લાગી હતી. ત્યાં ફરી હવે બેવડી ઋતુ આવતી હોય તબીબોએ લોકોને આરોગ્ય બાબતે ખાસ કાળજી લેવાની સલાહ આપી છે.
ખનીજ માફિયાઓ બેફામ:મોરબીની મચ્છુ નદીમાં ખનિજ માફિયાનો ત્રાસ, ગ્રામજનોએ આપી જનતા રેડની ચીમકી
મોરબી જિલ્લામાં જાણે ખનીજ માફિયાઓનેજાણે રેઢા રાજ હોય તેમ લાગી રહ્યું છે કારણ કેત્રણ તાલુકાની જીવાદોરી સમાન મચ્છુ નદીમાંખનીજ માફિયાઓ એટલી હદે બેફામ બનીગયા છે કે આડેધડ મચ્છુ નદીમાંથી દિવસ રાતચાલતા જેસીબી અને ડમ્પર રેતી ઉલેચી રહ્યા છેછતાં ખાણ ખનીજ વિભાગ, પ્રાંત કેમામલતદાર વિભાગ કે પોલીસ એક પણ તંત્રઆ ખનીજ ચોરી કરતા તત્વો પર એક્શનલેવાની હિંમત કરી શકતા નથી મોટાભાગનાગામના સરપંચ આગેવાનો કે જાગૃત નાગરીકોરજૂઆત કરે ત્યારે માત્ર ચેકિંગ કરી ખાનાંપુરતી થતી હોય માત્ર એકલ દોકલ ડમ્પર પકડીમાત્ર છુલ્લ્ક કહી શકાય તેટલી રકમનો દંડફટકારવામાં આવે છે.આવી જ સ્થિતિ હાલ મોરબી તાલુકાનાવનાળીયા માનસર અને નારણકા ગામની છેઆ ત્રણેય ગામની નજીકથી પસાર થતી મચ્છુનદીમાં બેફામ દિવસ રાત હિટાચી મશીન અનેડમ્પર દોડી રહ્યા છે આ બાબતે માનસર ગામનાસરપંચ જીતુભાઈ પી ઠોરિયાએ જણાવ્યું હતું કેતેમના ગામમાં માનસરથી નારણકા વચ્ચેનીમચ્છુ નદીમાં બે હિટાચી મશીન જયારે માનસરઅને વનાળીયા વચ્ચે 4 જેટલા હિટાચી મશીનદ્વારા મચ્છુ નદીમાં ખાડાઓ કરી તેમથી બેફામરેતી ચોરવામાં આવી રહી છે આ વિસ્તારનીગ્રામ પંચાયતો દ્વારા અગાઉ પણ અહીં ખનીજચોરી બાબતે રજૂઆત કરવામાં આવી છતાંતંત્ર દ્વારા કડક એક્શન લેવામાં ઉણું ઉતર્યું હોયતેમ ફરી એકવાર આ લોકો ચોરી કરતા થઇગયા છે ત્યારે તંત્ર આ ખનીજ ચોરીને 2દિવસમાં કાયમી ધોરણે બંધ કરવામાં આવેતેવી માંગણી ઉઠી છે. ખનીજ ચોરીથી આસરપાસ થનારા નુકસાનની આશંકાઅતિશય ખનનથી નદીનું તળ ઊંડું થઈ જાય છે, જેના કારણે પાણીનો પ્રવાહ અસંતુલિત બને છે. નદીનું કુદરતી વહેણ બદલાઈ શકે અને ચોમાસા દરમિયાન વધુ ડેમમાંથી છોડતું પાણી ગામ તરફ ધસી શકે. નદીના કાંઠા ધસી પડે છે, ખેતરો, વસવાટ વિસ્તારને નુકશાન થાય છે. ભૂ-ક્ષય વધી શકે છે. પૂરનું જોખમ વધે છે નદીના કાંઠા નબળા પડતા પૂર વખતે પાણી બેફામ વહે છે. ભૂગર્ભ જળસ્તર ઘટે છે રેતી કુદરતી રીતે પાણી સંગ્રહે છે; રેતી ચોરીથી ભૂગર્ભ પાણી ઝડપથી ઘટે છે. પરિણામે નદી કાઠા ના ગામમાં થતી ખેતી માટે નુકશાન કારક સાબિત થઈ શકે છે. સિંચાઈ માટે પાણી ઓછું મળે છે, નદીના પટ્ટ સુક્કા ભઠ્ઠ બની શકે છે. માળખા ગત નુકશાન પુલ, રસ્તા, નહેરો અને નાના-મોટા ચેક ડેમની મજબૂતી ઘટે છે.
મોરબી મહાપાલિકા દ્વારા દર બુધવારે ગેરકાયદે દબાણ હટાવવાની ચાલી કામગીરીમાં આજે બુધવારે પણ શહેરની વાવડી ચોકડીથી છેક વાવડી ગામ સુધી ગેરકાયદે ખડકાયેલા દબાણો દૂર કરવા ડીમોલેશન કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મનપાએ ગૌશાળાની દીવાલ, કબીરધામ આશ્રમની ફેન્સિંગ અને રેકડી-કેબિન સહિતના 20 જેટલા દબાણો હટાવી દીધાનું જાહેર કર્યું છે. મોરબી મહાપાલિકા દ્વારા વન વિક વન રોડ અંતર્ગત આજે વાવડી ચોકડીથી છેક વાવડી ગામ સુધીના રોડ ઉપર ખડકાયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ડીમોલેશનમાં 18 મીટરના રોડને નડતરરૂપ 20 જેટલા ગેરકાયદે દબાણો હટાવી દેવામાં આવ્યા હતા. જેમાં આ રોડ ઉપર ગેરકાયદે ખડકાયેલા ગૌશાળાની દીવાલ, કબીરધામ આશ્રમની ફેન્સિંગ અને રેકડી-કેબિનો સહિતના દબાણો હટાવી દેવામાં આવ્યા હતા. આ તકે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, અગાઉ માર્ગ અને મકાન વિભાગ હસ્તક રહેલા વાવડી ચોકડીથી ગામ સુધીના રોડનો હવે મોરબી મનપમાં સમાવેશ થવાથી આજે આ માર્ગ ઉપર ટ્રાફીકને નડતરરૂપ તમામ ગેરકાયદે દબાણો ઉપર મનપાનું બુલડોઝર તૂટી પડ્યું હતું અને તમામ ગેરકાયદે દબાણો દૂર કરી તેમજ અગાઉ જ્યાં જ્યાં દર બુધવારે દબાણ હટાવ કામગીરી કરાય હોય ફરી પાછા દબાણો ખડકાયા હોવાથી ત્યાં હવે ફરીથી ગેરકાયદે દબાણો હટાવવાની કાર્યવાહી કરાશે તે જણાવ્યું છે. અત્રે નોંધનીય છે કે, મોરબી મહાપાલિકાની રચના થતા જ એટલે એક વર્ષથી મનપા શહેરમાં અવિરતપણે દબાણો હટાવવાની કામગીરી કરે છે, પણ હકીકતમાં આ ડીમોલેશનનો સામાન્ય વર્ગના ધંધાર્થીઓ ભોગ બને છે. અત્યાર સુધી લારી, ગલ્લા, ફેરિયા, ગરીબોના ઝુંપડા તેમજ દુકાનો બહારના છજા કે ઓટલા, પગથિયાં સહિતના નાના જ દબાણો દૂર કરાયા છે. કોઈ મોટા દબાણોને ઉની આંચ પણ આવી નથી. કાયદો બધા માટે એક સરખો હોવાની દુહાય આપતું તંત્ર મસમોટા દબાણો દૂર કરવામાં કેમ ટૂંકું પડે છે તેવો સામાજિક કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો.
ગીર સોમનાથ જિલ્લામાં ગીર વિસ્તારના માલધારી ચારણ સમાજની અનુસૂચિત જનજાતિ (ST) જાતિ પ્રમાણપત્રની અરજીઓ છેલ્લા એક વર્ષથી તાલાલા મામલતદાર કચેરી ખાતે ધૂળ ખાતી પડી છે. આ પરિસ્થિતિએ સાબિત કરી દીધું છે કે સામાન્ય માણસ માટે કાયદો અને વ્યવસ્થા માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ છે. રજૂઆતો છતાં પણ પ્રશાસન તરફથી કોઈ કાર્યવાહી ન થવી એ ગંભીર અને ચિંતાજનક બાબત છે. ચારણ સમાજ દ્વારા મામલતદાર, કલેક્ટર, આદિજાતિ મંત્રી તેમજ આદિજાતિ વિકાસ કમિશનરને લેખિતમાં અનેક વખત જાણ કરવામાં આવી હોવા છતાં અધિકારીઓએ કોઈ પગલું ભર્યું નથી. 500થી વધુ અરજીઓ પેન્ડિંગ હોવા છતાં જવાબદાર અધિકારીઓની નિષ્ક્રિયતા એ દર્શાવે છે કે સામાન્ય નાગરિકના પ્રશ્નો માટે પ્રશાસનમાં કોઈ જગ્યા નથી. અધિકારીઓની આ બેદરકારીના કારણે સમાજના યુવાઓ, વિદ્યાર્થીઓ અને પરિવારોએ સતત હેરાનગતિ સહન કરવી પડી છે. આ ગંભીર મુદ્દે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ આજે તાલાલા મામલતદાર કચેરી પહોંચ્યા હતા. મામલતદાર હાજર ન હતા ત્યારે પુંજાભાઈ વંશે ફોન દ્વારા મામલતદારનો સંપર્ક કરી 15 દિવસમાં તમામ પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરવા કડક અલ્ટિમેટમ આપ્યો હતો. આ ઘટનાએ સ્પષ્ટ કરી દીધું છે કે ગીર સોમનાથ જિલ્લામાં અધિકારીઓ સામાન્ય માણસની વાત સાંભળવા તૈયાર નથી અને પોતાની મનમાની રીતે કામ કરી રહ્યા છે. પુંજાભાઈ વંશે આ બેદરકારી સામે કડક વાંધો ઉઠાવી પ્રશાસનની હકીકત જનતા સામે મૂકી છે. આવનારા દિવસોમાં અધિકારીઓ ખરેખર કામ કરે છે કે નહીં તેની કડક નજર રાખવામાં આવશે. જો 15 દિવસમાં તમામ પેન્ડિંગ અરજીઓનો નિકાલ નહીં થાય તો પુંજાભાઈ વંશના નેતૃત્વમાં ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે, જેના માટે સંપૂર્ણ જવાબદારી બેદરકાર અધિકારીઓ અને પ્રશાસનની રહેશે.
કામગીરી:સાંગણપરના યુવકનું સારવાર દરમિયાન મોત અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના સાંગણપુર ગામે રહેતા અને ખેતી કામ કરતા નરેશ ભાઈ ધુડાભાઇ વાટુકીયા એ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, ફરિયાદી નરેશભાઈના નાના ભાઈ નિલેશભાઈ ઘુડાભાઇ વાટુકીયા ગત 10 જાન્યુઆરી 26 ના સાંજના આશરે સાડા છએક વાગ્યે પીપળીયા ગામે ફોર પી હીરાના કામે બુલેટ લઈને સાંગણપરથી પીપળીયા ગામે જતાં હતાં તે દરમ્યાન લીંબોડા અને પીપળીયા ગામ વચ્ચે પહોંચતા કોઈ અજાણ્યા વાહન ચાલકે બુલેટ સાથે એકસીડન્ટ કર્યો હતો. જેમાં નિલેશભાઈના માથાના ભાગે ગંભીર ઇજા તથા છાંતીના ભાગે ઇજા તથા શરીરે નાની મોટી ઇજાઓ કરી નાસી ગયેલ ઇજાગ્રસ્ત નિલેશભાઈને પ્રથમ પાળીયાદ બાદ 108 મારફતે બોટાદની હોસ્પિટલ ખાતે જઈએ છીએ તમો સીધા બોટાદ સબીહા હોસ્પીટલમાં આવો તેવું રાહદારીએ જણાવેલ. જેથી ફરિયાદી નરેશભાઈ તથા તેના બનેવી બોટાદ સબીહા હોસ્પીટલ ગયેલા ત્યાં પ્રાથમિક સારવાર લઇ વધુ સાર વાર માટે ભાવનગર ખાતે 10 જાન્યુઆરીએ દાખલ કરેલ નિલેશભાઈ ને આઈ સી યુ વોર્ડમાં દાખલ કરેલ પરંતુ તબીયતમાં સુધારો ન જણાતા 12 જાન્યુઆરીએ મેરૂ નર્સિંગ હોમ ખાતે દાખલ કરેલ અને આઈ સી યુ વોર્ડમાં સારવાર શરૂ હોય તા. 17 જાન્યુઆરીના આશરે 9-30 વાગ્યે મોત નીપજ્યું હતુ. નિલેશભાઈની ડેડ બોડીનું PM ભાવનગર સર ટી હોસ્પીટલ ખાતે કરાવેલ અને ત્યારબાદ તેની અંતીમ વિધી સાંગણપર ખાતે કરવામાં આવેલ.આમ કોઈ અજાણ્યા વાહન ચાલકે પુરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી નિલેષભાઈના બુલેટ સાથે એકસી ડન્ટ કરી નિલેશ ભાઇને માથાના ભાગે ગંભીર ઇજા તથા છાતીના ભાગે ઇજા તથા શરીરે નાની મોટી ઇજાઓ કરી નાસી ગયાની અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે.
BCAમાં રોયલ-રિવાઇવલની બેઠક નિષ્ફળ:પ્રમુખ પદની શરતે સત્યમેવનું રોયલ ગઠબંધન
15 ફેબ્રુઆરીએ યોજાનાર બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણીના ફોર્મ બુધવારે પરત ખેંચાયા હતા. ચૂંટણી અધિકારીઓએ પ્રમુખ, સેક્રેટરી, ઉપપ્રમુખ સહિત પદોના ઉમેદવાર જાહેર કર્યાં હતા. રોયલ અને સત્યમેવ જયતેના સમાધાનમાં સત્યમેવ જયતેને પ્રમુખપદ આપવું પડ્યું છે. જોકે રૂ.40 કરોડના વહીવટની તક કોને મળશે તે ફેબ્રુઆરીમાં સ્પષ્ટ થશે. સૂત્રો મુજબ રિવાઇવલ સામે બે ગ્રૂપે હાથ મિલાવાની વાતની સ્ક્રીપ્ટ 15 દિવસ પહેલા જ લખાઇ ચૂકી હતી. અજીત લેલે રોયલમાંથી રિવાઇવલ ગ્રૂપમાં ગયાનું જાણવા મળ્યું છે. રિવાઇવલના પ્રણવ અમીન અને રોયલના સમરજીતસિંહ ગાયકવાડ વચ્ચે મીટિંગનો દોર ચાલ્યો હતો. રિવાઇવલ ‘શાહી’ માંગણીઓને ઘૂટણિયે ન પડતાં રોયલ ગ્રૂપે સત્યમેવ જયતેને પ્રમુખપદની લોલિપોપ આપવી પડી હતી. મિટિંગોમાં રોયલ ગ્રૂપે પ્રમુખપદની માગ કરી હતી. એડવાઇઝરી કમિટી રદ કરવા, મેનેજિંગમાં 70 ટકા સભ્યપદ તથા બે સીઇઓની ફોર્મ્યુલા મુકતાં મંત્રણા ભાંગી હતી. બાદમાં રોયલે પ્રમુખ પદ સત્યમેવ જયતેને ધર્યું છે. બુધવારે 94 ફોર્મ પાછા ખેંચાયા હતા. પ્રેસિડેન્ટના 4 ફોર્મ, સેક્રેટરીના 4, વીપીના 6, જોઇન્ટ સેક્રેટરીના 2, ટ્રેઝરરના 6 મળી 22 ફોર્મ પરત ખેંચાયા હતા. ફાઇનાન્સના 18, પ્રેસ-પબ્લિસિટીના 14, ગ્રાઉન્ડ એન્ડ ઇન્ફ્રાના 22 મળી 72 ફોર્મ ખેચાયા હતા. સત્યમેવ જયતેના ડો. દર્શન બેંકરે વધુ વાત ગુરુવારે પ્રેસ કોન્ફરન્સમાં કરવાનું કહ્યું હતું. બે રિજેક્ટેડ ફોર્મ માટે સ્ટેટસ ક્વોસ્ક્રૂટિનીમાં પરાગ પટેલ અને ચેતન પવારના ફોર્મ રદ કરાયા હતા. તેમને ચૂંટણી અધિકારીએ બુધવારનો સમય આપ્યો હતો. પણ બંને પૂર્તતા ન કરી શકતા ફોર્મ રદ જ એટલે કે ફોર્મ સ્ટેટ્સ ક્વો રખાયા હતા. માત્ર જનસંપર્કની 7 પોસ્ટ માટે 15 ઉમેદવારોચૂંટણીમાં એપેક્સની 5 સીટ સામે 10 જણ, ગ્રાઉન્ડ કમિટીની 7 સીટો માટે 14 અને પ્રેસ કમિટીની 7 બેઠકો માટે 15 ઉમેદવારો મેદાનમાં છે. ચૂંટણી અધિકારીના જણાવ્યા મુજબ ઉમેશ ખોટે બંને ગ્રૂપ સિવાયમાંથી ઉમેદવારી નોંધાવી છે. ઉમેશ ખોટ અગાઉ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય હતા. આંતરિક ખેંચતાણના પગલે પ્રેસ કોન્ફરન્સ રદસત્યમેવ જયતે-રોયલ ગ્રૂપે સયાજીગંજની હોટેલમાં 5.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ત્યારબાદ સમય 6 વાગ્યાનો અને અંતે કોન્ફરન્સ રદ કરાઇ હતી. કારણ કે, ગ્રૂપને એવો ભય હતો કે કોન્ફરન્સમાં અસંતુષ્ટો આવી જાય તો અફરાતફરીનો માહોલ સર્જાય તેવી શક્યતા હતી. અક્ષત પટેલને પ્રમુખ બનાવવા અડગ રિવાઈવલે કિરણ મોરે પર પસંદગી ઉતારીઅક્ષત પટેલને પ્રમુખ પદે રાખવા અડગ રિવાઈવલ ગ્રૂપે છેવટે કિરણ મોરે પર કળશ ઢોળ્યો હતો. તેમને જબરજસ્તી પ્રમુખ પદના મુરતિયા બનાવાયાની વાત વહેતી થઇ હતી. રિવાઇવલનું કહેવું હતું કે, વાતમાં દમ નથી. એમ હોત તો ફરિયાદ કેમ ન કરી? બીજી તરફ રોયલ અને સત્યમેવ જયતેમાં આંતરિક ખેંચતાણની વાત ફેલાઇ હતી. જેમાં ખાણીપીણીના વ્યવસાયી ઉમેદવારને એેપેક્સમાં લડવું હતું પણ એક ઉમેદવારના સાળાને ઉમેદવાર બનાવવા ફોર્મ પરત ખેંચાવડાવ્યું હતું. ટ્રેઝરરમાં ઉમેદવારી નોંધાવી ચૂકેલા એક ઉમેદવારના મુદ્દે પણ મંડાગાઠ થઇ હતી. તેમણે 3.30 સુધી ફોર્મ પરત નહોંતું ખેચ્યું. છેવટે એપેક્સમાં ઉમેદવારીથી સંતોષ માનવો પડ્યો હતો. એપેક્સમાં 10, ફાઇનાન્સ કમિટીમાં 14 ઉમેદવારો એેપેક્સ કાઉન્સિલ (5) ગ્રાઉન્ડ કમિટી (7) ફાઇનાન્સ કમિટી પ્રેસ -પબ્લિસિટી(7)
વિરોધ:તાંદલજામાં 18 મીટરનો રોડ 15 મીટર જ બન્યો, અધિકારીઓ બહેરા-મુંગા-અંધ હોવાનું પ્રદર્શન
તાંદલજા પત્રકાર ચાર રસ્તાથી ગામ સુધી નવા રોડ બનાવવાની કામગીરીમાં ગેરરીતિ થઈ હોવાની અને મુદત પૂરી થઈ હોવા છતાં રોડ નહીં બન્યો હોવાની ફરિયાદ ઉઠી છે. 18 મીટરના રોડમાં 16 મીટર રોડ પાસ કરવામાં આવ્યો હોવાથી રહીશોએ કોન્ટ્રાકટરના ખરાબ કામ વિષે માનીતા અધિકારીઓ બોલતા, સાંભળતા અને જોતાં નહીં હોવાના ગંભીર આક્ષેપ કરતાં પોસ્ટર સાથે વિરોધ કર્યો હતો. રહીશોએ કોંગ્રેસના અગ્રણી વસીમ શેખની આગેવાનીમાં પોસ્ટર સાથે વિરોધ કર્યો હતો. વસીમ શેખે જણાવ્યું કે, પત્રકાર કોલોનીથી ગામ સુધી 18 મીટરનો રોડ હોવા છતાં 16 મીટરનો જ રોડ પાસ કરાયો છે. આ રોડ પર કેટલાક સ્થળોએ તો 15 મીટરનો રોડ પણ બનાવ્યો નથી. 16 મીટરના રોડ પર થાંભલા હટાવાયા નથી. જેના કારણે રોડની પહોળાઈ ઓછી થઈ ગઇ છે. અધિકારીઓને રજૂઆત કરવા છતાં નાગરિકોનું નહીં સાંભળી કોન્ટ્રાક્ટરનો ફાયદો વિચારી રહ્યા હોય તેમ લાગે છે. ના છૂટકે અધિકારીઓ કોન્ટ્રાક્ટરનું ખરાબ કામ જોઈ શકતા નથી, સાંભળી શકતા નથી અને બોલી શકતા નથી તેવા પોસ્ટરો સાથે વિરોધ કર્યો હતો. વિરોધને પગલે અધિકારીઓ દોડતા થયા હતા અને કામ ઝડપથી પૂરું થશે તેવી બાંહેધરી આપ્યાનું જાણવા મળ્યું છે.q 9 મહિના પૂર્વે રોડ ઑક્સિજન પર છે તેવો વિરોધ થયો હતોતાંદલજામાં આ જ રોડ પર મહિનાઓથી ખાડા ન પૂરાતાં હોવાની ફરિયાદ સાથે રહીશોએ ‘રોડ ઑક્સીજન પર છે’ની થીમ પર ઑક્સિજનના બોટલ સાથે વિરોધ કરતાં સિટી ઇજનેર અને અધિકારીઓ દોડી ગયા હતા.
માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલની ટકોર રંગ લાવી છે. વર્ષોથી માત્ર ખાદ્ય ચીજવસ્તુઓના નમૂના લેવાની કામગીરી કરતી ખોરાક શાખા હવે દુકાનો સીલ કરવા સુધીની કામગીરી શરૂ કરી છે. શહેરના ગેંડીગેટ, ગોત્રી અને સયાજીગંજ સહિતના વિસ્તારમાં ખોરાક શાખાની ટીમે 48 દુકાનો અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરી 16 યુનિટોને સીલ કર્યા હતા. જેમાં 126 કિલો આખાદ્ય જથ્થો અને 5 લીટર સીરપનો જથ્થો નાશ કર્યો હતો. તદુપરાંત 19 કિલો સિંગલ પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા રૂ. 1.46 લાખનો દંડ વસૂલ્યો હતો. સીલ કરેલા યુનિટની વિગત નામ કારણ
ચિન્મય મિશનની સ્થાપનાની 75 વર્ષગાંઠની ઉજવણી હેઠળ વર્ષ દરમિયાન આધ્યાત્મિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ચિન્મય મિશન દ્વારા 31મી ડિસેમ્બર 2025ના રોજ ચિન્મય અમૃત યાત્રા, ચિન્મય વિભૂતિ, પુણે મુકામેથી પ્રસ્થાન કરી હતી. આ યાત્રા આજે સાંજે હરણી આવશ.જ્યાં ભક્તો આ યાત્રાનું ભાવભર્યું સ્વાગત કરશે. ઉલ્લેખનીય છે કે, યાત્રામાં સ્વામી ચિન્મયાનંદજીની પાદુકા, તેમની મૂર્તિ તેમજ તેઓ દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ એક બસમાં એક મ્યુઝિયમના સ્વરૂપમાં કોનવે સાથે પ્રસ્થાન કર્યુ હતું. આ ચિન્મય અમૃત યાત્રા રાયઝિંગ ભારતના વિઝન સાથે 10 લાખ યુવાનોને સશક્ત બનાવી 35 હજાર કિલોમીટરની 295 દિવસની ભારતની રાષ્ટ્રીય રેલીના રૂપમાં યાત્રા કરશે. ચિન્મય અમૃત યાત્રાનું વડોદરા ખાતે ગુરુવારે સાજે 7 કલાકે હરણી ભીડ ભંજન મારુતિ હનુમાન મંદિર ખાતે ભવ્ય સ્વાગત અને પૂજા-અર્ચના કરવામાં આવશે. જે બાદ 8 કલાકે માંજલપુર ખાતે આવેલ ચિન્મયાનંદ સર્કલ મુકામે યાત્રા આવશે અને ત્યાં ભક્તો તેમજ આશ્રમના સેવકો અને સ્વામી દેવેશાનંદ સરસ્વતીજી દ્વારા વાજતે ગાજતે ચિન્મય આશ્રમ વડોદરા ખાતે લઈ જવામાં આવશે. શુક્રવારે સુરસાગર તળાવ ખાતે ચિન્મય અમૃત વાહિનીનું ભવ્ય રાજકીય સ્વાગત કરવામાં આવશે.શનિવારે ચિન્મય આશ્રમ ખાતે ચિન્મય અમૃત વાહિનીને મિશનના સેવકો અને ભાવિભક્તો માટે સાંજના સમયે દર્શનના લાભાર્થે ઊભી રાખવામાં આવશે.
અજરખપુર સ્થિત શ્રુજન- લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઈન સેન્ટર (LLDC) ક્રાફ્ટ મ્યુઝિયમ ખાતે ‘વિન્ટર ફેસ્ટિવલ-2026’નો પ્રારંભ થયો છે. કચ્છની લોકકલા સાથે જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, નાગાલેન્ડ, મિઝોરમ, ઓડિશા, મધ્યપ્રદેશ અને ગોવા જેવા રાજ્યોની સંસ્કૃતિ, સંગીત અને નૃત્યના આદાન-પ્રદાન સાથે ‘વિવિધતામાં એકતા’ની ભાવના અહીં સાકાર થશે. મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર અમીબેન શ્રોફે જણાવ્યું હતું કે, “કચ્છની હસ્તકલાના સંવર્ધન માટે શરૂ થયેલ LLDCએ એક દાયકા પહેલા અન્ય કલાઓને પ્રોત્સાહિત કરવાની નેમ લીધી હતી. જેનો હેતુ વિવિધ ભારતીય કલાઓને એક મંચ પૂરું પાડવાનો હતો. આ નાનકડી શરૂઆત આજે વટવૃક્ષ બની ગઈ છે, તેનો અમને સવિશેષ રાજીપો છે.” પાંચ દિવસના ફેસ્ટિવલનો આરંભ જાણીતા ગાયક પાર્થિવ ગોહિલ તેમજ ધોરડોના સરપંચ મિયાં હુસેન મુતવા, શ્રુજન એલ. એલ. ડી. સી. ના ચેરમેન દિપેશભાઈ શ્રોફ, હસ્તકલાના નિષ્ણાત અને કસબના પંકજભાઈ શાહ, સુમિટોમો કેમિકલ્સના કિરણભાઈ ચાંદવાણી, લેવા પટેલ સમાજના પ્રમુખ ગોપાલભાઈ ગોરસીયા, એગ્રોસેલના જગદીશ નાયક, રામ ભોગલે, કેવિન માર્ટિન, યોગેન્દ્રસિંઘ, રાજેન્દ્ર શાહ – ડાયરેક્ટર એગ્રોસેલ, ડૉ. બાલાજી પિલ્લઈ – અદાણી હોસ્પિટલ, ડૉ. ઈસ્માઈલ ખત્રી, ચૈતન્યભાઈ શ્રોફ, દાદુભાઈ ઝાલા, કલાધર મુતવા, સોરૂબેન, સરિયાબેન આહિર અને વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ વગેરેના હસ્તે દીપ પ્રાગટ્યથી થઈ હતી. ગાર્ડન કલાકૃતિઓની પ્રસ્તુતિનો પ્રારંભ કચ્છના જ બાળકલાકારો રિશી શેઠિયા, યજ્ઞ ગોર, હરમન ઝાલા અને પિનાક શાહ દ્વારા નોબત, ઢોલ તેમજ ઓર્ગન દ્વારા ધમાકેદાર સંગીત-નાદ સાથેની સ્વાગત પ્રસ્તુતિએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ત્યારબાદ મઝરૂદ્દીન મુતવા અને તેમની ટીમ દ્વારા ‘સરહદ-જા-સૂર’ની રજૂઆત કરવામાં આવી હતી. યુવા કલાકારો દ્વારા ગુજરાતી પ્રાચીન લોકગીતો અને ભજનોએ સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. મંચ પરથી રજૂ થયેલ કચ્છના સિંક્રો એકેડમી, સ્વર ડાન્સ એકેડમી, આર. જે. આદ્યશક્તિ ગ્રૂપ અને મધ્યપ્રદેશના લોકરાગ સમિતિ ડાન્સ ગ્રૂપ દ્વારા નૃત્યની ધમાકેદાર અદ્ભુત રજૂઆતો કરવામાં આવી હતી. કિડ્સ ઝોન અને કઠપૂતળીએ બાળકોને ખુશ ખુશ કરી દીધાબ્લોક પ્રિન્ટ, પોટરી અને બાંધણીની હેન્ડસ્-ઓન એક્ટિવિટી પર લોકોએ જાતે હાથ અજમાવી રોમાંચ અનુભવ્યો હતો. કિડ્સ ઝોન અને કઠપૂતળીએ બાળકોને ખુશ ખુશ કરી દીધા હતા. સાથોસાથ ટેરોટ કાર્ડ રીડર, ફેસ-પેઈન્ટ આર્ટિસ્ટ અને ટેટૂ આર્ટિસ્ટએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. તારીખ 21 થી 25 જાન્યુઆરી સુધી દરરોજ સાંજે ચાર વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી ચાલનારા આ ફેસ્ટિવલ જોવા-જાણવા-માણવા જેવો છે.
સાબરકાંઠા જિલ્લાના પોળો ફોરેસ્ટ ખાતે યોજાયેલી બોટની ફેસ્ટ–7માં ભુજની આર. આર. લાલન કોલેજના વિદ્યાર્થીઓ બે સ્પર્ધમાં તૃતીય ક્રમે વિજેતા બન્યા હતા. ચાર દિવસ ચાલેલા શૈક્ષણિક ઉત્સવ દરમિયાન વનસ્પતિ વૈવિધ્ય, જૈવિક વારસા, પર્યાવરણ સંરક્ષણ અને બાયોજિયોગ્રાફી જેવા મહત્વપૂર્ણ વિષયો પર વિવિધ શૈક્ષણિક અને પ્રયોગાત્મક પ્રવૃત્તિઓ યોજાઈ હતી. જેમાં ભુજની આર. આર. લાલન કોલેજના વનસ્પતિ શાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ ફાયટોહન્ટ અને બાંબુ હેકેથોન સ્પર્ધામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. કોલેજ તરફથી વીઝીટીંગ ફેકલ્ટી ડૉ. કઝબાનુ સુમરા તથા વિદ્યાર્થીઓ ગોહિલ ભૂમિ, પોમલ કાર્તવી, જોશી રાધિકા, ત્રિવેદી ભાર્વી , જાડેજા જયદીપસિંહ અને સોઢા જ્યરાજસિંહે ભાગ લીધો હતો. આ માટે પ્રેરણા અને પ્રોત્સાહન વનસ્પતિ શાસ્ત્ર વિભાગના પ્રધાપકો અને આચાર્ય ડૉ. સી.એસ. ઝાલાએ પુરા પડ્યા હતા.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે 12 વર્ષ પહેલા દાણીલીમડામાંથી ગુમ થયેલી એક બાળકીને શોધી તેના પરિવાર સાથે તેનું મિલન કરાવ્યું હતું. હ્યુમન ટ્રાફિકિંગ ગેંગની ચૂંગાલમાં આવી ગયેલી આ બાળકીને શોધવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ છેક મુંબઈ પણ પહોંચી હતી. ભિક્ષાવૃત્તિ કરતા બાળકોનું રેસ્ક્યૂ કરવા ખાસ ટીમ તૈયાર કરાઈઅમદાવાદ શહેરને ભિક્ષુકમુક્ત બનાવવા માટે ખાસ કવાયત ચાલી રહી છે. જેને પગલે ખુદ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ભિક્ષાવૃત્તિ કરતા બાળકોનું રેસ્ક્યૂ કરીને તેમને યોગ્ય રીતે રહેવાની અને ભણવાની વ્યવસ્થા કરી આપવામાં આવી રહી છે ત્યારે ક્રાઇમબ્રાંચના જેસીપી શરદ સિંગલ અને ડીસીપી અજીત રાજીયાનના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર. ગઢવીની આગેવાનીમાં ખાસ ટીમ રચવામાં આવી હતી. આ ટીમ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે લાંબા સમયથી ગુમ થયેલા બાળકોને શોધવા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. દાણીલીમડાથી 12 વર્ષ પહેલા બાળકી ગુમ થઈ હતીઆ તપાસ દરમિયાન ભિક્ષાવૃત્તિ, દેહવેપાર, ઓર્ગન ટ્રાફિકિંગ તથા જાતીય શોષણ જેવી ગંભીર બાબતોને ધ્યાનમાં રાખી વિવિધ દિશામાં તપાસ કરવામાં આવી ત્યારે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં 12 વર્ષ પહેલા એક બાળકી ગુમ થઈ હોવાની ફરિયાદની પણ તપાસ કરવામાં આવી રહી હતી. હ્યુમન ટ્રાફિકિંગ કરતી ગેંગની ચૂંગાલમાં ફસાઈ હતીતપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે હાલ આ બાળકી મુંબઈમાં છે અને તે હ્યુમન ટ્રાફિકિંગ કરતી ગેંગની ચૂંગાલમાં ફસાઈ છે. જેને પગલે પોલીસે મુંબઈ સુધી તપાસ કરી હતી.ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી આખરે 12 વર્ષ બાદ ગુમ થયેલી બાળકી શોધી કાઢવામાં આવી અને તેનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું.
અમદાવાદમાં પાલતુ કૂતરાના હુમલાના કિસ્સા દિવસેને દિવસે વધી રહ્યા છે. બે મહિના પહેલાં ન્યૂ મણિનગરમાં નાના બાળક પર હુમલાની ઘટના બાદ એસપી રિંગ રોડ શીલજ ચાર રસ્તા નજીક આવેલા કાવેરી સંગમ ફ્લેટમાં મહિલા પર પાલતુ કૂતરાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. મહિલા સીડી ચડીને ઉપર જઈ રહી હતી તે દરમિયાન સામેથી એક યુવતી પોતાના પાલતુ કૂતરાને લઈ નીચે આવી રહી હતી. આ દરમિયાન અચાનક જ કૂતરાએ મહિલાના પગ ઉપર બચકું ભરવાનો પ્રયાસ કર્યો હતો અને નખ બેસાડી દીધા હતા. મહિલા પર કૂતરા દ્વારા હુમલો કરવાની ઘટના ફ્લેટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ મામલે મહિલાના પતિ દ્વારા AMCના સીએનસીડી વિભાગ અને બોપલ પોલીસ સ્ટેશનમાં ઈ-મેલ મારફતે ફરિયાદ કરવામાં આવી છે. ધનસુરાનું દંપતી અમદાવાદ દીકરીને મળવા અમદાવાદ આવ્યુંમૂળ અરવલ્લી જિલ્લાના ધનસુરા પાસે આવેલા આકૃન્દ ગામે પટેલ જશવંતભાઈ એમના પત્ની હિનાબેન સાથે રહે છે. હિનાબેન સરકારી શાળામાં આચાર્ય તરીકે નિવૃત્ત થયા છે. જશવંતભાઈનો અમદાવાદ એસપી રિંગ રોડ પર શીલજ ચાર રસ્તા પાસે આવેલા કાવેરી સંગમમાં C-103 ફ્લેટ આવેલો છે. આ ફ્લેટમાં તેમના દીકરી અને તેમનો ભાણિયો રહે છે. જશવંતભાઈ અને હિનાબેન અવારનવાર અમદાવાદ આવતા હોય છે અને તેમના દીકરી સાથે રહેતા હોય છે. હિનાબેન બપોરે સીડી ચડી ઉપર ઘરે જતા હતાબંને પતિ-પત્ની અમદાવાદ પોતાના ફ્લેટ ખાતે રહેવા આવ્યા હતા. 20 જાન્યુઆરીના રોજ બપોરે પરત પોતાના ગામ જવાનું હોવાથી પહેલા નજીકમાં એક સંબંધીને મળવા ગયા હતા. હિનાબેન બપોરે 1 વાગ્યાની આસપાસ પોતાના ઘરે સીડી ચડીને જતા હતા, ત્યારે સીડી પરથી તેમના ઉપરના માળે C-203માં રહેતા મકાન માલિકની પુત્રી લાંબા પટ્ટા સાથે તેમના પાલતુ કૂતરાને લઈને નીચે ઉતરી રહી હતી. હિનાબેન જ્યારે સીડી ઉપર ચડવા જતા હતા, ત્યારે તેઓ પાલતુ કૂતરાને જોઇને ઊભા પણ રહ્યા હતા. સામેથી આવતા કૂતરાએ હિનાબેન પર હુમલો કર્યોજોકે, અચાનક જ કૂતરો તેમની તરફ આવી ગયો અને કરડવા માટે દોડ્યો હતો. કૂતરાથી બચવા માટે હિનાબેન બેથી ત્રણ પગથિયા પણ ચડી ગયા હતા. જોકે, યુવતી તેને ખેંચીને દૂર કરે તે પહેલા જ એમના પગ ઉપર નખ બેસાડી દીધા હતા. પાલતુ કૂતરાએ હુમલો કર્યો જે બાદ યુવતી તેમને બોલવા લાગી હતી અને ત્યાર બાદ ત્યાંથી જતી રહી હતી. પાલતુ કૂતરાએ અચાનક હુમલો કરતા હિનાબેન ગભરાઈ ગયા હતા અને આ મામલે તેમના પતિ અને તેમની દીકરીને પણ જાણ કરી હતી. ડોક્ટરે ચાર ઇન્જેક્શન લેવા માટે કહ્યું છે: જશવંતભાઈજશવંતભાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા ફ્લેટમાં અવારનવાર અમે આવતા હોઈએ છીએ, ત્યારે અચાનક જ આ રીતે 20 જાન્યુઆરીના રોજ બપોરે અમે ગામેડ ઘરે પરત જવાના હતા ત્યારે સીડી ચડતી વખતે તેમના પત્ની ઉપર કૂતરાએ હુમલો કર્યો અને આ બાબતે જ્યારે તેમને કહેવા ગયા તો તેઓએ એમને કહ્યું હતું કે, આ મારા દીકરા જેવો છે. તમારાથી થાય એ કરી લો. ગામડે જવાનું હોવાને કારણે તેઓ ઘરે પહોંચ્યા હતા અને ત્યાં આકૃન્દ પ્રાથમિક આરોગ્ય સારવાર કેન્દ્ર ખાતે સારવાર કરાવી હતી. ડોક્ટરે ચાર ઇન્જેક્શન લેવા માટે કહ્યું છે. AMCના સીએનસીડી વિભાગને ઈ-મેલથી ફરિયાદવધુમાં તેમણે કહ્યું હતું કે, સ્થાનિક લોકોને જ્યારે આ બાબતે જાણ થઈ તો તેમણે પણ સ્વીકાર્યું હતું કે તેમના પાલતુ કૂતરાની ઘણી બધી ફરિયાદો છે. લાંબા પટ્ટાથી તેઓ કૂતરાને બાંધી રાખે છે અને અવારનવાર હુમલો પણ કરે છે. એક બે વખત તેમની દીકરીના ભાણિયયાને પણ કરવા માટે દોડ્યો હતો. આ સમગ્ર બાબતે બોપલ પોલીસ સ્ટેશનમાં અને AMCના સીએનસીડી વિભાગને ઈ-મેલ મારફતે ફરિયાદ કરી છે. પાલતુ કૂતરાનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હોવાનું પ્રાથમિક રીતે તેઓને જાણવા મળ્યું છે. આ બાબતે રૂબરૂ આવી શકે તેમ ન હોવાના કારણે તેઓ દ્વારા આ મામલે ઈ-મેલથી ફરિયાદ કરી છે. બે મહિના અગાઉ ન્યૂ મણિનગરમાં જર્મન શેફર્ડ ડોગનો બે બાળક પર હુમલોન્યૂ મણિનગર વિસ્તારમાં ડૂન રિવેરા સ્કૂલ પાસે આવેલા શરણમ એલિગન્સમાં પાલતું કૂતરા જર્મન શેફર્ડે બે બાળક પર હુમલો કર્યો હતો. જોકે, આ હુમલામાં બાળકનો આબાદ બચાવ થયો હતો. મહિલા કૂતરાને લઈને બ્લોકના પાર્કિંગમાંથી જતી હતી ત્યારે બાળકો કૂતરાને જોઈને ભાગ્યાં હતાં. બાળકોને ભાગતાં જોઈને લકી નામના કૂતરાએ તેની પાછળ દોટ મૂકી હતી. એક બાળક નીચે પડી જતાં કૂતરાએ એના દાંત બેસાડી દીધા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી. જે બાદ પાલતુ કૂતરાને AMC દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર હજુ પણ લોકો પેટ ડોગના રજિસ્ટ્રેશન કરાવતા નથીહાથીજણમાં બાળકી પર પાલતુ કૂતરાના હુમલાથી 4 માસની બાળકીના મોતની ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેટ ડોગના રજિસ્ટ્રેશનની કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ શહેરમાં પેટ ડોગના માલિકો દ્વારા હજી પણ રજિસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા ખૂબ ધીમી છે. 1 જાન્યુઆરી 2025થી આજ દિન સુધીમાં 18,900થી વધુ પેટ ડોગના માલિકો દ્વારા 19 હજારથી વધુ પેટ ડોગના રજિસ્ટ્રેશન કરાવાયા છે. લોકો હજુ પણ પેટ ડોગના રજિસ્ટ્રેશન કરાવી રહ્યા નથી. પેટ ડોગની રજિસ્ટ્રેશન ફીમાં વધારો કરવામાં આવ્યો છે. હવેથી ડોગ રજિસ્ટ્રેશનની ફી રૂપિયા 1,000ની જગ્યાએ રૂપિયા 2,000 કરવામાં આવ્યા છે. આ પણ વાંચો:- અમદાવાદમાં 4 માસની બાળકીને ફાડી ખાનારો રોટવિલર ખતરનાક ડોગ લેબ્રાડોર સહિત કુલ ચાર પ્રજાતિના ડોગનું સૌથી વધુ રજિસ્ટ્રેશનઅત્યાર સુધીમાં જેટલા પણ પેટ ડોગના રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા છે તેમાં સૌથી વધારે લોકો લેબ્રાડોર પ્રજાતિના પેટ ડોગ રાખે છે. ત્યાર બાદ જર્મન શેફર્ડ અને શિત્ઝુ તેમજ ગોલ્ડન રોટવીલર પ્રજાતિના પેટ ડોગ સૌથી વધારે લોકો રાખી રહ્યા છે. કુલ 10 જેટલી પ્રજાતિના પેટ ડોગ લોકો પાસે જોવા મળી રહ્યા છે. AMCમાં અત્યાર સુધીમાં નોંધાયેલા પેટ ડોગમાં સૌથી વધુ આ ચાર પ્રજાતિના છે. સૌથી આક્રમક ગણતા રોટવીલર પ્રજાતિના ડોગ ખૂબ ઓછા લોકો ધરાવે છે. 31 માર્ચ 2026 સુધીમાં પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરાવી શકાશેશહેરમાં પેટ ડોગ રાખનારા લોકોએ AMCમાં ડોગનું રજિસ્ટ્રેશન કરાવવા માટે શરૂઆત કરી દીધી છે. પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ પેટ ડોગ નોંધાયા છે. જેમાં જર્મન શેફર્ડ, લેબ્રાડોર, પામેરિયન, ગોલ્ડન રોટવીલર અને હસ્કી પ્રજાતિના ડોગનો સમાવેશ થાય છે. હજી પણ શહેરમાં અંદાજિત 30,000થી વધુ પેટ ડોગના રજિસ્ટ્રેશન થયા નથી. જોકે, 1 જાન્યુઆરી 2026થી ડોગ રજિસ્ટ્રેશનની ફીમાં વધારો કરાયા બાદ જે પણ પેટ ડોગ માલિકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું નથી તેમણે 31 માર્ચ 2026 સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. પશ્ચિમમાં સૌથી વધુ અને મધ્ય ઝોનમાં સૌથી ઓછું રજિસ્ટ્રેશનડોગ રજિસ્ટ્રેશન સૌથી વધારે પશ્ચિમ વિસ્તારમાં જોધપુર, સેટેલાઈટ, ઘાટલોડિયા, ગોતા, થલતેજ, બોપલ, ઘુમા, વાસણા, નારણપુરા, નવરંગપુરા, રાણીપ, સાબરમતી, ચાંદખેડા, મોટેરા, ન્યુ રાણીપ, નવાવાડજ, બલોલનગર, જજીસ બંગલો, ગુલાબ ટાવર, ચાંદલોડિયા, સતાધાર સહિતના વિસ્તારોમાં થયા છે. સૌથી વધારે જર્મન શેફર્ડ, લેબ્રાડોર, ગોલ્ડન રોટવીલર, શિત્ઝુ સહિતના ડોગનું રજિસ્ટ્રેશન થયું છે. સૌથી ઓછા મધ્ય ઝોન વિસ્તારમાં શાહીબાગ, ડફનાળા, શાહપુર, અસારવા, ખાડિયા, દિલ્હી દરવાજા જેવા વિસ્તારોમાંથી લેબ્રાડોર, જર્મન શેફર્ડ અને પામેરીયન ડોગનું રજિસ્ટ્રેશન થયું છે. ડોગ રજિસ્ટ્રેશન ન કરાવનાર માલિક સામે કાર્યવાહી કરાશેAMC દ્વારા પેટ ડોગ રાખનારા લોકો માટે ચોક્કસ પોલિસી બનાવવામાં આવી રહી છે. આગામી દિવસોમાં AMCના સીએનસીડી વિભાગની ટીમ દ્વારા જે લોકો દ્વારા પેટ ડોગ રાખવામાં આવે છે તેની માહિતી મેળવી તેમના ઘરે ચેકિંગ કરવામાં આવશે. પેટ ડોગ અંગે રજિસ્ટ્રેશન કરાવ્યું છે કે નહીં તે અંગેની તપાસ કરવામાં આવશે. જેઓએ પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરાવ્યું નહીં હોય તો ડોગ માલિકને નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવશે. પેટ ડોગ પોલિસી અંતર્ગત જો ડોગનું રજિસ્ટ્રેશન નહીં હોય તો ડોગ માલિકના નળ, ગટર કનેક્શન કાપવાથી લઈને ડોગ જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન અને એનીમલ બર્થ કંટ્રોલ (ABC) ડોગ્સ રૂલ્સ- 2023 તથા National Action Plan for Dog Mediated Rabies Elimination from India, 2030 (NAPRE), Rabies free Ahmedabad city ની ગાઈડલાઈન અનુસાર શહેરમાં રાખવામાં આવતા પાલતુ શ્વાન (પેટ ડોગ)નું રજિસ્ટ્રેશન 31 માર્ચ 2026 સુધીમાં કરાવવાનું રહેશે.
સુરતવાસીઓ માટે ખાસ કરીને કતારગામ અને અમરોલીના રહીશો માટે રાહતના સમાચાર છે. સાડા ત્રણ વર્ષ લાંબી આતુરતાનો અંત આવ્યો છે કારણ કે, કતારગામના ગજેરા સર્કલથી અમરોલીને જોડતા રત્નમાલા જંકશન બ્રિજનો પ્રથમ રેમ્પ ગુરુવાર, 22 જાન્યુઆરીના રોજ સવારે 10 કલાકે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. શહેરના મેયરના હસ્તે આ નવનિર્મિત રેમ્પનું લોકાર્પણ કરવામાં આવશે, જેનાથી આ વિસ્તારમાં વર્ષોથી સતાવતી ટ્રાફિકની સમસ્યામાં મોટો ઘટાડો થવાની આશા સેવાઈ રહી છે. રેમ્પ શરૂ થતા વાહનચાલકો સીધા અમરોલી તરફ જઈ શકશે63 કરોડ રૂપિયાના તોતિંગ ખર્ચે તૈયાર થયેલો આ બ્રિજ કતારગામ અને અમરોલી વિસ્તાર વચ્ચે કનેક્ટિવિટી વધારવા માટે અત્યંત મહત્વનો સાબિત થશે. લોકાર્પણ કરવામાં આવનાર આ રેમ્પ કાંસાનગરથી અમરોલી તરફ જાય છે અને તેની લંબાઈ અંદાજે 1030 મીટર છે. ગજેરા સર્કલ વિસ્તારમાં સતત વાહનોની ભારે અવરજવરને કારણે જામની સ્થિતિ સર્જાતી હતી, પરંતુ હવે આ રેમ્પ શરૂ થતા વાહનચાલકો સીધા અમરોલી તરફ જઈ શકશે, જેનાથી સમય અને ઇંધણ બંનેની બચત થશે. એન્જિનિયરોએ બ્રિજની આખી રૂટ લાઇન બદલતા કામગીરી મોડી થઈઆ પ્રોજેક્ટની કામગીરી જુલાઈ-2022માં શરૂ કરવામાં આવી હતી પરંતુ, નિર્માણ દરમિયાન અનેક ટેકનિકલ અવરોધો આવ્યા હતા. ઓક્ટોબર-2023માં જ્યારે ફાઉન્ડેશનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે જમીનની નીચે મોટી માત્રામાં પાણી-ગટરની લાઈનો અને અન્ય યુટિલિટી કેબલ્સ મળી આવ્યા હતા. આ સમસ્યાને કારણે એન્જિનિયરોએ બ્રિજની આખી રૂટ લાઇન બદલવી પડી હતી અને BRTS લેન તોડીને નવું ફાઉન્ડેશન બનાવવાની ફરજ પડી હતી. આ કારણોસર નિર્માણ કાર્યમાં મોટો વિલંબ થયો હતો. મુખ્યમંત્રીનો સુરત પ્રવાસ હવે 31મી જાન્યુઆરી પર ખસેડવામાં આવ્યો અગાઉ આ બ્રિજનું ઉદ્ઘાટન 23મી જાન્યુઆરીએ મુખ્યમંત્રીના હસ્તે કરવાનું આયોજન હતું પરંતુ, કેટલાક સ્થાનિક વિવાદોને કારણે કાર્યક્રમમાં ફેરફાર થયો છે. કતારગામની ટીપી સ્કીમ નં-49, 50 અને 51માં રિઝર્વેશન મુદ્દે રહીશોનો વિરોધ અને સુમન સ્કૂલના સ્થળ ફેરફારના વિવાદને જોતા મુખ્યમંત્રીનો સુરત પ્રવાસ હવે 31મી જાન્યુઆરી પર ખસેડવામાં આવ્યો છે. જોકે, ટ્રાફિકની ગંભીરતાને જોઈને વહીવટી તંત્રએ તૈયાર થયેલા એક રેમ્પનું ઉદ્ઘાટન મેયરના હસ્તે વહેલું કરવાનું નક્કી કર્યું છે. તંત્ર દ્વારા આ બ્રિજને 15 ડિસેમ્બર પહેલા પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું પરંતુ, જટિલ કામગીરીને કારણે માત્ર એક જ રેમ્પ અત્યારે શરૂ થઈ શક્યો છે. બાકીની કામગીરી પણ હવે યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી છે. શરૂ થઈ રહેલા 1030 મીટર લાંબા આ માર્ગને કારણે કતારગામ અને અમરોલી વચ્ચેનો પ્રવાસ વધુ સરળ અને ઝડપી બનશે, જેની સ્થાનિક રહેવાસીઓ લાંબા સમયથી પ્રતીક્ષા કરી રહ્યા હતા.
વર્ષ 2016માં મૂળ બનાસકાંઠાના હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણસિંહ પરમાર સામે રાણીપ પોલીસ મથકે પોલીસ ઇન્સ્પેક્ટરે પ્રોહેબિશન એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. તેઓ જ્યારે સરપ્રાઈઝ ચેકિંગમાં નીકળ્યા હતા ત્યારે આરોપી હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણસિંહ પરમાર પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. કોન્સ્ટેબલ ઓન ડ્યુટી પીધેલી હાલતમાં ઝડપાયા હતાઆ કેસ અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી જતા. મેજિસ્ટ્રેટ પી.કે.પંડ્યાએ સરકારી વકીલ તુષાર.એલ.બારોટની દલીલો 12 સાહેદ અને 8 પુરાવાઓ ધ્યાને લઈને આરોપીને 1 વર્ષ સાદી કેદની સજા ફટકારી છે. ઉલ્લેખનીય છે કે, કોન્સ્ટેબલ લક્ષ્મણસિંહ પરમાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ સોમાભાઈ મોદીના રાણીપ ખાતે આવેલ નિવાસ સ્થાને ફરજ બજાવતા હતા અને ત્યાંથી જ ઓન ડ્યુટી પીધેલી હાલતમાં ઝડપાયા હતા. FSLમાં આરોપીના બ્લડ સેમ્પલમાં આલ્કોહોલ મળી આવ્યો હતોતેઓ હથિયાર ધારી પોલીસ કોન્સ્ટેબલ હોવા છતાં તેમની પાસે તે સમય હથિયાર નહોતું અને પેટીમાં મૂકેલું હથિયાર તેમને પોલીસ ઇન્સ્પેક્ટરને બતાવ્યું હતું. તેમના સહ કર્મચારી તે સમયે જમવા માટે ગયા હતા. બપોરના સમયે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આરોપીના બ્લડ સેમ્પલ FSL માં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં આલ્કોહોલ મળી આવ્યો હતો.
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ભારત ખાતેના ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર ફિલીપ ગ્રીન OAMની સૌજન્ય મુલાકાત દરમિયાન રમતગમત, ઓલિમ્પિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે સહકારને લઈને વ્યાપક ચર્ચા થઈ. આ બેઠકમાં મુખ્યમંત્રીએ ઓલિમ્પિક ગેમ્સ માટે વિકસાવવામાં આવતી સુવિધાઓનો લાંબા ગાળે સસ્ટેનેબલ ઉપયોગ કરવા ઓસ્ટ્રેલિયાના અનુભવ અને જ્ઞાનનો લાભ લેવા ગુજરાતની તત્પરતા વ્યક્ત કરી. ઓસ્ટ્રેલિયાનો મોડેલ ગુજરાત માટે માર્ગદર્શક બની શકે તેમ ચર્ચાયું2032માં બ્રિસ્બેનમાં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયામાં થઈ રહેલી તૈયારીઓ અંગે વિગતવાર વિચાર-વિમર્શ થયો. રમતો બાદ ખેલગામો, આવાસ અને અન્ય સુવિધાઓનો સામાન્ય નાગરિકો, વિદ્યાર્થીઓ અને વિવિધ ઇવેન્ટ્સ માટે ઉપયોગ કેવી રીતે થાય તે અંગે ઓસ્ટ્રેલિયાનો મોડેલ ગુજરાત માટે માર્ગદર્શક બની શકે તેમ ચર્ચાયું. ભૂપેન્દ્ર પટેલે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની ક્ષમતા અને તાલીમ પદ્ધતિની પ્રશંસા કરીઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર ગ્રીને બ્રિસ્બેનમાં ચાલી રહેલી ઓલિમ્પિક તૈયારીઓના નિરીક્ષણ માટે ગુજરાતના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળને ઓસ્ટ્રેલિયા આવવાનું આમંત્રણ આપ્યું. સ્વિમિંગ, પેરા એથલેટિક્સ અને હાઈ પરફોર્મન્સ સેન્ટર્સમાં ઉચ્ચ સ્તરીય તાલીમ માટે ઓસ્ટ્રેલિયા સહકાર આપવા ઇચ્છુક હોવાનું પણ તેમણે જણાવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની ક્ષમતા અને તાલીમ પદ્ધતિની પ્રશંસા કરી અને 2036 ઓલિમ્પિકમાં ગુજરાત તથા દેશના ખેલાડીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે તે માટે સહિયારા પ્રયાસોની અપેક્ષા વ્યક્ત કરી. બેઠકમાં અલગ ઇકોસિસ્ટમ વિકસાવવાની યોજના અંગે પણ ચર્ચા થઈઆ બેઠકમાં ગિફ્ટ સિટીમાં કાર્યરત ડિકન યુનિવર્સિટી દ્વારા સ્પોર્ટ્સ સાયન્સ, સ્પોર્ટ્સ રિસર્ચ અને સ્પોર્ટ્સ બિઝનેસ માટે સેન્ટર ઓફ એક્સેલન્સ ઉભું કરીને અલગ ઇકોસિસ્ટમ વિકસાવવાની યોજના અંગે પણ ચર્ચા થઈ. માર્ચ-2026માં યોજાનારા ડિકન યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં હાજરી આપવા મુખ્યમંત્રીને આમંત્રણ આપવામાં આવ્યું. રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાતે હાંસલ કરેલી આગવી પ્રગતિથી ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર પ્રભાવિત થયા હતા. તેમણે રિન્યૂએબલ એનર્જી ટ્રાન્ઝિશનમાં ઓસ્ટ્રેલિયાની એક્સપર્ટિઝ ગુજરાતને ઉપલબ્ધ કરાવવા ઉત્સુકતા દર્શાવી. પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીમાં સોલાર રૂફટોપ માટે વિકસાવવામાં આવતી ટ્રેનિંગ સુવિધાઓ અને તેમાં મહિલાઓની વધતી ભાગીદારીની પણ પ્રશંસા કરવામાં આવી. આ બેઠકમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, સચિવ અજય કુમાર, ઇન્ડેક્ષ્ટ-સીના એમડી કેયુર સંપટ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
સુરેન્દ્રનગરમાં ખેત મજૂરોએ તેમના હક માટે એક વિશાળ પદયાત્રા યોજી હતી. આ પદયાત્રા મહાત્મા ગાંધી હોસ્પિટલથી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી, જ્યાં કલેક્ટર મનોજ દવેને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. મજૂરોએ કુદરતી આફતોમાં જમીન માલિકોને મળતી સહાયમાં પોતાનો હિસ્સો અથવા અલગથી પેકેજ આપવાની માંગ કરી હતી. આ પદયાત્રામાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નૌશાદભાઈ સોલંકી, ચોટીલાના પૂર્વ ધારાસભ્ય રૂતવિકભાઈ મકવાણા, શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ વકીલ, વિક્રમભાઈ રબારી સહિત કોંગ્રેસના અગ્રણી આગેવાનો અને આદિવાસી પરિવાર મજૂર સંગઠનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ખેત મજૂરો જોડાયા હતા. ગુજરાતમાં ખેતી ક્ષેત્રે 'ભાગિયા' કે 'ઉચક મજૂરી' પર કામ કરતા લાખો દલિત, આદિવાસી અને પછાત વર્ગના ભૂમિહીન ખેત મજૂરો હાલ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ખેતીની વર્તમાન પદ્ધતિ મુજબ, જમીન માલિકો માત્ર રોકાણ કરે છે, જ્યારે વાવણીથી લઈને લણણી સુધીની સખત મજૂરી આ મજૂરો દ્વારા કરવામાં આવે છે. જ્યારે અતિવૃષ્ટિ, વાવાઝોડું કે દુષ્કાળ જેવી કુદરતી આફતો આવે છે, ત્યારે સરકાર દ્વારા SDRF અને NDRF અંતર્ગત ચૂકવવામાં આવતી હેક્ટર દીઠ ₹૨૨,૦૦૦ની સહાય સીધી જમીન માલિકના ખાતામાં જમા થાય છે. પાક નિષ્ફળ જાય ત્યારે જમીન માલિકને સહાય મળે છે, પરંતુ જેણે પરસેવો પાડીને મહેનત કરી છે તેવા મજૂરને એક રૂપિયો પણ મળતો નથી. મજૂરના હિસ્સાની મહેનત પણ પાક સાથે નિષ્ફળ જાય છે, જેના કારણે તેઓ દેવામાં ડૂબી રહ્યા છે. ખેત મજૂરોની મુખ્ય માંગણી છે કે, સરકાર દ્વારા જમીન માલિકોને અપાતી સહાય સિવાયનું વધારાનું પેકેજ જાહેર કરી 30% રકમ અલગથી ખેત મજૂર/ભાગિયાને ચૂકવવામાં આવે. આ માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે અથવા કાયદો બનાવી મજૂરોને ન્યાય મળે તે માટે વિનંતી કરવામાં આવી છે.
રાજકોટ એરપોર્ટ પર 5 કરોડની વોચ ગાયબ:લંડન જતા વિદેશી મુસાફરની ગોલ્ડ વોચ CISFએ શોધી કાઢી
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લંડન જતા વિદેશી મુસાફરની રૂ.5 કરોડની ગોલ્ડ વોચ ગાયબ થઈ ગઈ હતી. જોકે, CISF દ્વારા કરાયેલા CCTV સર્વેલન્સ દરમિયાન અન્ય મુસાફર પાસેથી આ કાંડા ઘડિયાળ મળી આવી હતી, જેથી મૂળ માલિકને પરત આપવામાં આવી હતી. કિંમતી વોચ ગાયબ થઇ જતા વિદેશી મુસાફર મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. જોકે, આ ઘડિયાળ મળી જતા વિદેશી મુસાફરે CISF સ્ટાફની પ્રશંસા કરી હતી. વિદેશી મુસાફરની કિંમતી ગોલ્ડ વોચ ગાયબ થઈ ગઈ હતીમળતી વિગતો મુજબ 20 જાન્યુઆરીના સવારે રાજકોટથી 8.35 વાગ્યે મુંબઈ જતી ફલાઇટમાં જવા માટે મુસાફરો રવાના થવાના હતા. આ દરમિયાન એક વિદેશી મુસાફરની કિંમતી ગોલ્ડ વોચ ગાયબ થઈ ગઈ હતી. જેથી ઇન્સ્પેક્ટર એન.એસ. રાઠોરના માર્ગદર્શનથી CISF ની ટીમ, ઇન્ટેલિજન્સ યુનિટ અને સીસીટીવી સર્વેલન્સ સ્ટાફ દ્વારા તે વોચની શોધખોળ કરવામાં આવી હતી. સવારના ભીડના સમયે એરપોર્ટ સિક્યોરિટી ચેકિંગ દરમિયાન ગાયબ થઈ ગયેલી વોચ બોર્ડિંગ શરૂ થતાં જ અન્ય મુસાફર પાસેથી મળી આવી હતી. જેથી વિદેશી મુસાફરને તેની ગોલ્ડની કાંડા ઘડિયાળ પરત મળી હતી. જેની કિંમત અંદાજે રૂ.5 કરોડ જેટલી હતી. જોકે કિંમતી ઘડિયાળ મળી જતા વિદેશી મુસાફરે પણ CISF ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
ACBએ આજે અમરેલી જિલ્લામાં એક મોટી કાર્યવાહી કરીને પોલીસ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના PSI, એક પોલીસ કર્મચારી અને એક ખાનગી વ્યક્તિ (વચેટિયા) ને ₹3,00,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. શું હતો સમગ્ર મામલો?આ કેસની વિગત મુજબ, ફરિયાદી અને સાક્ષી વિરુદ્ધ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલ હતો. આ ગુનાની તપાસ PSI આર.એમ. રાધનપુરા કરી રહ્યા હતા. ફરિયાદી વિરુદ્ધ PASAની કાર્યવાહી ન કરવા અને સાક્ષીના ટ્રકના અસલ કાગળોની ફાઈલ પરત આપવાના બદલામાં PSI રાધનપુરા અને પોલીસ કર્મચારી આશિષસિંહ ઝાલા વતી આરીફભાઇ રવજાણી નામના શખ્સે ₹3,00,000ની લાંચની માંગણી કરી હતી. ACBનું સફળ છટકુંફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે અમરેલી ACBનો સંપર્ક કર્યો હતો. જે આધારે આજે તા. 21/01/2026 ના રોજ રાજુલા પાસે આવેલી સહયોગ હોટલ ખાતે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. ટ્રેપ દરમિયાન, ખાનગી વ્યક્તિ આરીફભાઇ રવજાણીએ પોલીસ કર્મચારી આશિષસિંહ ઝાલા સાથે ટેલિફોનિક વાતચીત કરી ખાતરી કરી હતી. ત્યારબાદ PSI અને પોલીસ કર્મચારી વતી આરીફભાઇએ લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે તેને સ્થળ પર દબોચી લીધો હતો. જોકે, PSI રાધનપુરા અને પોલીસ કર્મચારી આશિષસિંહ ઝાલા સ્થળ પર હાજર મળી આવ્યા ન હતા, પરંતુ ગુનામાં તેમની સીધી સંડોવણી ખુલતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓની વિગત 1. આર.એમ. રાધનપુરા – PSI, જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન. 2. આશિષસિંહ ઝાલા – પોલીસ કર્મચારી, જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન. 3. આરીફભાઇ અકબરઅલી રવજાણી – પ્રજાજન (વચેટિયો), રહે. મોણપર, તા. મહુવા. કામગીરી કરનાર ACBની ટીમટ્રેપીંગ અધિકારી આર.ડી. સગર (ઇ.ચા. પોલીસ ઇન્સ્પેક્ટર, અમરેલી એસીબી) અને તેમની ટીમ દ્વારા સુપરવિઝન અધિકારી એસ.એન. બારોટ (મદદનીશ નિયામક, ભાવનગર એસીબી એકમ) અને ઇન્ચાર્જ અધિકારી બળદેવસિંહ વાઘેલા (નાયબ નિયામક, એસીબી રાજકોટ)ના માર્ગદર્શનમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. ACBની આ સફળ કામગીરીથી લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. જાગૃત નાગરિકની હિંમતને કારણે લાખોની લાંચનું આ કૌભાંડ ખુલ્લું પડ્યું છે.
સુરત શહેરના લાલ ગેટ વિસ્તારમાં આવેલા શાહપોર ખાતે આજે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. માછલીપીઠ નજીક મેટ્રોની કામગીરી ચાલી રહી છે તે દરમિયાન અચાનક જ 25 ફૂટ ઊંડો અને 15 ફૂટ પહોળો વિશાળ ભૂવો પડતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના સમયે બાજુમાં જ લગ્નનો મંડપ બાંધેલો હોવાથી લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. લગ્ન મંડપનો એક પાયો પણ ભૂવામાં ગળકાવ થઈ ગયો હતો અને સાથે 15થી 20 ખુરશીઓ પણ ખાડામાં પડી ગઈ હતી. આ સાથે જ ભૂવો પડ્યો તેની નજીકમાં કિચન હોવાથી ખાવાનું મૂકીને ભાગી ગયા હતા. મહેમાનોમાં પણ દોડધામ મચી ગઈ હતી. લગ્નનો મંડપ અને ખુરશીઓ ભૂવામાં હોમાઈદુર્ઘટના સમયે લગ્ન મંડપમાં મહેમાનોની અવરજવર હતી. અચાનક જમીન માર્ગ આપતા 15થી 20 જેટલી ખુરશીઓ અને મંડપનો અમુક હિસ્સો જોતજોતામાં ઊંડા ભૂવામાં ગરકાવ થઈ ગયો હતો. સદનસીબે, જમીન ધસી રહી હોવાનો અહેસાસ થતા જ લોકોએ દોડધામ મૂકી દીધી હતી, જેના કારણે એક મોટી જાનહાનિ ટળી હતી. લોકો એટલા ડરી ગયા હતા કે જમવાનું પડતું મૂકીને જીવ બચાવવા સુરક્ષિત સ્થળે ભાગ્યા હતા. મહેમાનોમાં પણ દોડધામ થઈ ગઈ હતી. ગેસ અને પાણીની લાઈનો ક્ષતિગ્રસ્તભૂવો પડવાની જાણ થતા જ ફાયર વિભાગ, ગુજરાત ગેસ અને મેટ્રો રેલના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ગેસની પાઈપલાઈન તૂટી હોવાની ચર્ચાને પગલે સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક પુરવઠો બંધ કરાયો હતો. ભૂવો પડવાને કારણે પાણીની મુખ્ય લાઈન પણ તૂટી હોવાની શંકા છે, જેના કારણે રસ્તા પર પાણી ભરાવા લાગ્યા હતા. ભૂવો એક બંગલાના કિચનની બિલકુલ પાછળ પડ્યો હોવાથી જોખમ જોતા એક આખો બંગલો તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યો છે. સ્થાનિકોમાં ભારે રોષ કે જવાબદાર કોણ?મેટ્રોની કામગીરી દરમિયાન નાગરિકોની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક રહીશોમાં સુરત મહાનગરપાલિકા અને મેટ્રો તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે, મેટ્રોની કામગીરીમાં યોગ્ય સાવચેતી રાખવામાં આવતી નથી. આજે જો કોઈ જાનહાનિ થઈ હોત તો તેનો જવાબદાર કોણ હોત? રહેણાંક વિસ્તારોમાં આવી બેદરકારી સાંખી લેવાય નહીં. ભૂવો પડતા વિસ્તારને કોર્ડન કરી દેવાયોહાલમાં આ વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. મેટ્રોના અધિકારીઓ દ્વારા ભૂવો પડવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. શહેરીજનોમાં હવે એ સવાલ ઊઠી રહ્યો છે કે શું વિકાસના કામો લોકોના જીવના જોખમે થશે? આગામી સમયમાં આ મામલે જવાબદારી નક્કી કરી કડક પગલાં લેવામાં આવે તેવી માગ ઉગ્ર બની છે.
બુટલેગર બેરિકેટ તોડી ભાગ્યો, CCTV ફૂટેજ સામે આવ્યા:પાવી જેતપુર પોલીસે પીછો કરી દારૂ ભરેલી XUV ઝડપી
પાવી જેતપુર નજીક વન કુટિર પાસે વિદેશી દારૂ ભરેલી XUV ગાડી બેરિકેટ તોડીને ભાગી હતી. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ગાડીને ઝડપી પાડી હતી. ગઈકાલે બોડેલી તરફથી આવતી એક XUV ગાડીમાં વિદેશી દારૂ હોવાની બાતમી મળતા પાવી જેતપુર પોલીસે વન કુટિર પાસે બેરિકેટ ગોઠવ્યા હતા. જોકે, બુટલેગરે ગાડી રોકવાને બદલે બેરિકેટ તોડીને છોટા ઉદેપુર તરફ પુરપાટ ઝડપે ભગાવી હતી. પોલીસે તાત્કાલિક ગાડીનો પીછો શરૂ કર્યો હતો. લગભગ એક કિલોમીટર સુધી પીછો કર્યા બાદ પાવી રેલવે ગરનાળા પાસે બુટલેગર XUV ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી ₹1,71,902/- ની કિંમતની વિદેશી દારૂની 754 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ અને ગાડી જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પીપલોદ વિસ્તારમાં એક પ્રતિષ્ઠિત ટેક્સટાઇલ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા 29 વર્ષીય હર્ષ વિશાલકુમાર શેઠની કાળી કરતૂત સામે આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. ગોવિંદ પાર્ક સતકેવલ સર્કલ પાસે રમતા 12 અને 11 વર્ષના બે પિતરાઈ ભાઈઓને ચોકલેટ અને કારમાં ફરવાની લાલચ આપીને કારમાં બેસાડીને અપહરણ કર્યા બાદ આરોપીએ કારની અંદર જ બાળકો પાસે જાતીય સતામણીની ગંદી માંગણીઓ કરી હતી. 'જો તમે મારા ઘરે આવીને કામ કરશો તો ચોકલેટ આપીશ'ઘટનાની વિગતો મુજબ બાળકો ગાર્ડનમાં રમી રહ્યા હતા ત્યારે હર્ષ શેઠ પોતાની કાર લઈને ત્યાં પહોંચ્યો હતો. તેણે બાળકોને લલચાવવા માટે ચોકલેટ આપવાની અને કારમાં ફરવાની લાલચ આપી હતી. વધુમાં તેણે કહ્યું કે, જો તમે મારા ઘરે આવીને સાફ-સફાઈનું કામ કરશો તો ઘણી બધી ચોકલેટ આપીશ. બાળકો તેની વાતમાં આવી ગયા અને કારમાં બેસી ગયા. કારમાં બેસાડીને અશ્લીલ માગણીઓ કરી હતીકારમાં બેસાડ્યા બાદ આરોપીએ બાળકોને શહેરના રસ્તાઓ પર ફેરવવાનું શરૂ કર્યું પરંતુ, થોડીવાર બાદ તેણે પોતાનું અસલી રૂપ બતાવ્યું. ઉમરા પોલીસની તપાસમાં બહાર આવ્યું કે તેણે બાળકોને કપડાં ઉતારવા માટે દબાણ કર્યું અને જાતીય સતામણીના ઈરાદે ગંદી માંગણીઓ કરી હતી. પોલીસે શંકાસ્પદ કારનો પીછો કરીને ફિલ્મી ઢબે આરોપીને ઝડપી પાડ્યો બાળકોએ હિંમત બતાવીને આરોપીનો વિરોધ કર્યો અને રડતા-રડતા કહ્યું, અમે આવું ગંદુ કામ નહીં કરીએ. બાળકોની રડારોળ અને બૂમાબૂમથી આરોપી ગભરાઈ ગયો અને તેમને ગમે ત્યાં છોડી દેવાની ફિરાકમાં હતો. બીજી તરફ બાળકોના અપહરણની જાણ વાયુવેગે પોલીસ સુધી પહોંચતા ઉમરા પોલીસે તાત્કાલિક નાકાબંધી કરી દીધી. મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ એકત્ર થઈ ગયા હતા. પોલીસે શંકાસ્પદ કારનો પીછો કરીને ફિલ્મી ઢબે આરોપીને ઝડપી પાડ્યો અને બંને બાળકોને સહીસલામત છોડાવી લીધા. બાળકોને અજાણ્યા લોકો સાથે જવાથી રોકવાઉમરા પોલીસે હર્ષ વિશાલકુમાર શેઠ વિરુદ્ધ અપહરણ અને પોક્સો (POCSO) એક્ટની કડક કલમો હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી છે. આરોપી સાધન-સંપન્ન પરિવારમાંથી આવે છે અને પીપલોદની એક જાણીતી સ્કૂલ નજીક રહે છે છતાં તેની આવી વિકૃત માનસિકતાએ સૌને સ્તબ્ધ કરી દીધા છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે કે શું અગાઉ પણ તેણે આવી હરકત કરી છે કે કેમ. આ ઘટના વાલીઓ માટે મોટી ચેતવણી છે કે, બાળકોને અજાણ્યા લોકો સાથે જવાથી રોકવા અને તેમની સુરક્ષા પર ખાસ ધ્યાન આપવું જોઈએ.
35 વર્ષ જૂના બેંક છેતરપિંડી કેસનો આરોપી ઝડપાયો:સાવરકુંડલા બેંકના પૂર્વ મેનેજરની પાલીતાણાથી અટકાયત
અમરેલી જિલ્લા પોલીસે 35 વર્ષ જૂના સાવરકુંડલા નાગરિક સહકારી બેંક છેતરપિંડી કેસમાં નાસતા ફરતા મુખ્ય આરોપી કિશોરભાઈ દેવજીભાઈ મહેતા (ઉંમર 78) ને પાલીતાણાથી ઝડપી પાડ્યા છે. તેઓ છેલ્લા 27 વર્ષથી ફરાર હતા. અમરેલી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ફરાર આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. 1990માં થઈ હતી છેતરપિંડીઆ છેતરપિંડી 1990માં થઈ હતી, જ્યારે કિશોરભાઈ મહેતા સાવરકુંડલા નાગરિક સહકારી બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. તેમણે બેંકની ચેકબુકનો દુરુપયોગ કરીને પોતાની પત્ની મીનાક્ષીબેન કિશોરભાઈ મહેતાના નામે બે બનાવટી ચેક બનાવ્યા હતા. મેનેજર તરીકે પોતાની સહી કરીને અને એકાઉન્ટન્ટ અશ્વિનકુમાર દવેની બનાવટી સહી કરીને તેમણે આ ચેક મેળવ્યા હતા. આ બંને ચેક કુલ ₹30,000 ના હતા, જે રાજકોટની વિજય કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડમાં મીનાક્ષીબેનના ખાતામાં જમા કરાવી ₹30,000 ની ઉચાપત કરવામાં આવી હતી. આ ઘટના બાદ કિશોરભાઈ મહેતાએ 1990માં જ બેંકમાંથી રાજીનામું આપી દીધું હતું અને ફરાર થઈ ગયા હતા. 1998માં તત્કાલીન બેંક મેનેજરે ફરિયાદ નોંધાવીઆ છેતરપિંડીની જાણ 1998માં સાવરકુંડલા નાગરિક સહકારી બેંકના મેનેજર અશ્વિનકુમાર દવેને થતા, તેમણે સાવરકુંડલા કોર્ટમાં IPC કલમ 420, 409, 467, 468 તથા 471 હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનો નોંધાયા બાદ બંને આરોપીઓ ધરપકડથી બચવા માટે અલગ-અલગ શહેરોમાં નાસતા ફરતા હતા. અમરેલી જિલ્લાની એલ.સી.બી. અને પેરોલ-ફર્લો સ્કવોડની ટીમો દ્વારા છેલ્લા બે મહિનાથી વાંકાનેર, બોટાદ, અમદાવાદ, સાણંદ અને પાલીતાણા ખાતે આરોપીઓના સગા-સંબંધીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. બંને પતિ-પત્ની પાલીતાણામાં જૈન ધર્મશાળાઓમાં રહેતા હતાતપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે બંને આરોપીઓ પાલીતાણા ખાતે અલગ-અલગ જૈન ધર્મશાળાઓમાં રહેતા હતા. આ માહિતીના આધારે, પેરોલ-ફર્લો ટીમે પાલીતાણા તળેટી વિસ્તારમાં, સાંઈબાબા મંદિર પાસે, અંજનાબેન ખાટાભાઈ મકવાણાના ભાડાના મકાનમાંથી આરોપી કિશોરભાઈ દેવજીભાઈ મહેતાને ઝડપી પાડ્યા હતા. આરોપી નંબર 2, મીનાક્ષીબેન કિશોરભાઈ મહેતા અંગે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે તેમનું 2023માં પાલીતાણા ખાતે અવસાન થયું છે. પોલીસ દ્વારા તેમનું મરણ પ્રમાણપત્ર પણ મેળવવામાં આવ્યું છે. બંને આરોપીઓની ઓળખ માટે જરૂરી આધાર પુરાવાની નકલો પણ મેળવી લેવામાં આવી છે.
પોરબંદરમાં 800 કિલો પ્લાસ્ટિક જપ્ત કરાયું:મહાનગરપાલિકાએ રૂ. 13500નો દંડ વસૂલ્યો, ઝુંબેશ ચાલુ રહેશે
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત વિવિધ બજાર વિસ્તારોમાં ચેકિંગ ડ્રાઈવ યોજી 800 કિલોગ્રામ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું અને નિયમોનું ઉલ્લંઘન કરનારા પાસેથી રૂ. 13,500નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ કાર્યવાહી કમિશનર હસમુખ પ્રજાપતિની સૂચના અને ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી તથા હર્ષ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ પર્યાવરણનું જતન કરવાનો અને શહેરમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર અંકુશ લાવવાનો છે. મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગના અધિકારી જગદીશભાઈ ઢાંકીની આગેવાની હેઠળની ટીમે શહેરના મુખ્ય વ્યાપારી વિસ્તારોમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ, સંગ્રહ અને વેચાણ કરતા એકમોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ચેકિંગ દરમિયાન, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેમાં કુલ 800 કિલોગ્રામ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ અને એકમો પાસેથી સ્થળ પર જ કુલ રૂ. 13,500નો દંડ વસૂલવામાં આવ્યો હતો. પાલિકાની આ આકસ્મિક કાર્યવાહીથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. સેનિટેશન ઓફિસર જગદીશભાઈ ઢાંકીએ જણાવ્યું હતું કે, પર્યાવરણના જતન માટે પાલિકા કટિબદ્ધ છે અને આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે. મહાનગરપાલિકાએ તમામ વેપારીઓ અને નાગરિકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી, પર્યાવરણને અનુકૂળ વિકલ્પો અપનાવવા અને શહેરને સ્વચ્છ રાખવામાં સહયોગ આપવા અપીલ કરી છે.
રાજકોટનાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ધમાકો કહી શકાય તેવા સમાચાર સામે આવ્યા છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 7 કિંમતી પ્લોટના વેચાણ માટે ઓનલાઈન હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે આ હરાજીમાં તંત્રની ગણતરીઓ મુજબ પ્રતિસાદ સાંપડ્યો નથી, પરંતુ અમીન માર્ગ અને 150 ફૂટ રિંગ રોડના કોર્નર ઉપર આવેલા મોકાના પ્લોટ માટે ભારે ખેંચતાણ જોવા મળી હતી. આ પ્લોટ માટે મનપાએ પ્રતિ ચોરસ મીટર 2,00,000 ની અપસેટ કિંમત નક્કી કરી હતી, જેની સામે ચાર અગ્રણી બિલ્ડરોએ રસ દાખવ્યો હતો. અંતે પ્રાઈડ કન્સ્ટ્રક્શન દ્વારા સૌથી ઊંચી બોલી 2,27,600 પ્રતિ ચોરસ મીટર બોલવામાં આવતા આ પ્લોટ તેમના નામે થયો છે. કુલ 4669 ચોરસ મીટરનાં એક પ્લોટના વેચાણથી મહાનગરપાલિકાની તિજોરીમાં રૂ.106,26,64,400ની માતબર આવક થશે. જોકે અન્ય પ્લોટ માટે બિલ્ડરો નિરસ રહ્યા હતા.રાજકોટ મહાપાલિકાએ રૈયા રોડ, મવડી, એચસીજી હોસ્પિટલ રોડ, મોરબી રોડ અને રેલનગર સહિતના જુદા-જુદા વિસ્તારોમાં આવેલા 7 પ્લોટ હરાજીમાં મુક્યા હતા, પરંતુ અમીન માર્ગ સિવાયનાં પ્લોટમાં કોઈ પાર્ટીએ રસ દાખવ્યો નથી. તંત્રને 7 પ્લોટના વેચાણની અંદાજે 360 કરોડની આવક થવાની આશા હતી. જેની સામે અત્યારે માત્ર 106 કરોડની જ આવક નિશ્ચિત થઈ છે. આ પ્લોટ્સ માટે અગાઉ પણ પૂરતી સંખ્યામાં બિડર્સ ન આવતા હરાજીની તારીખ લંબાવવામાં આવી હતી, છતાં પરિણામ અપેક્ષા મુજબનું રહ્યું નથી. મનપાએ વેચવા મુકેલા પ્લોટની વિગતો રૈયા મેઇન રોડ, સવન સિગ્નેટ એપાર્ટમેન્ટ સામે, સાઈઝ : 3221 ચો.મી. અપસેટ પ્રાઇઝ : 1.30 લાખ અમીન માર્ગ કોર્નર, 150 ફુટ રોડ, સાઈઝ : 4669 ચો.મી. અપસેટ પ્રાઇઝ : 2.00 લાખ ગાંધી ટાઉનશીપ પાછળ, ફિલ્ડમાર્શલ રોડ, મવડી, સાઈઝ : 5305 ચો.મી. અપસેટ પ્રાઇઝ : 1.20 લાખ કલ્યાણમ પાર્ટી પ્લોટ સામે, એચસીજી હોસ્પિટલ રોડ, સાઈઝ : 3713 ચો.મી. અપસેટ પ્રાઇઝ : 90.00 હજાર પંચવટી સોસા. રોડ, એચપી પમ્પ સામે, મોરબી રોડ, સાઈઝ : 1648 ચો.મી. અપસેટ પ્રાઇઝ : 1.25 લાખ પુનમ હોલ સામે, રાજકોટ-મોરબી રોડ, સાઈઝ : 1588 ચો.મી. અપસેટ પ્રાઇઝ : 1.25 લાખ ભકિતપાર્ક સામે, સાધુ વાસવાણી કુંજ રોડ, રેલનગર, સાઈઝ : 14507 ચો.મી. અપસેટ પ્રાઇઝ : 45 હજાર ખાસ કરીને એચસીજી હોસ્પિટલ રોડ પર આવેલા પ્લોટ બાબતે કાયદાકીય ગુંચ હોવાનું પણ જાણવા મળ્યું છે, જેના કારણે મનપાને નોટિસ પણ મળી હોવાની ચર્ચા છે.આ હરાજી પ્રક્રિયામાં ભાવના તફાવતની વાત કરીએ તો, અમીન માર્ગના પ્લોટની કિંમત સૌથી વધુ રૂ. 2,00,000 હતી, જ્યારે રેલનગરના સાધુ વાસવાણી કુંજ રોડ ઉપર આવેલા પ્લોટની અપસેટ કિંમત સૌથી ઓછી 45,000 પ્રતિ ચોરસ મીટર રાખવામાં આવી હતી. અમીન માર્ગનો પ્લોટ કોમર્શિયલ ઉપયોગ માટે અત્યંત મહત્વનો ગણાય છે. કારણ કે તે મુખ્ય માર્ગ પર આવેલો છે. ત્યાં મોટો પ્રોજેક્ટ ડેવલપ કરવાની પૂરી શક્યતાઓ અને સગવડતાઓ રહેલી છે. જેને લઈને બિલ્ડરો દ્વારા ઓનલાઈન હરાજીમાં આ એકમાત્ર પ્લોટની જ બોલી લગાવવામાં આવી હતી. જેમાં પ્રાઇડ કન્સ્ટ્રક્શને સૌથી ઊંચી બોલી લગાવીને મેદાન માર્યું છે. આમ મનપાને એકતરફ અમીન માર્ગના પ્લોટમાં મોટી સફળતા મળી છે, બીજી તરફ અન્ય 6 પ્લોટના વેચાણ બાબતે ચિંતામાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં મોરબી રોડ અને રેલનગરના પ્લોટની હરાજી થવાની છે, પરંતુ વર્તમાન સ્થિતિ જોતા ત્યાં પણ મોટો પ્રતિસાદ મળે તેવી શક્યતા ઓછી જણાઈ રહી છે. કેટલાક પ્લોટમાં કાયદાકીય પ્રશ્નો અને પ્રોપર્ટી માર્કેટની વર્તમાન સ્થિતિને કારણે બિલ્ડરો રોકાણ કરતા ખચકાઈ રહ્યા હોય તેવું પણ ચિત્ર ઉપસી રહ્યું છે. આમ, મનપાના પ્લોટ સેલિંગના આયોજનમાં અમીન માર્ગ સિવાયના પ્લોટમાં તંત્રની ગણતરી ઉંધી પડતી દેખાઈ રહી છે.
રાજકોટની જાણીતી વડાલિયા ફૂડસ પેઢીના સંચાલક સાથે સ્ટોન ક્રશરમાં રોકાણ કરાવી ઉંચુ વળતર આપવાની લાલચે રૂ.10.98 કરોડની છેતરપિંડી આચરવા કેસમાં આરોપી અમિત ભાણવડીયાના 5 દિવસ રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં આરોપી અમિત ભાણવડીયાએ કબૂલાત આપી હતી કે, પોતે તીનપતી જુગારમાં અને વિજય માંકડીયા MCX તેમજ જુગારમાં રૂપીયા હારી ગયો છે તેને ફરિયાદી ઉપરાંત અનેક લોકો પાસેથી રૂપિયા મેળવી છેતરપિંડી આચરી છે જે રકમ પણ કરોડો રૂપિયામાં આંકવામાં આવી રહી છે. હાલ પોલીસે ભોગ બનનાર લોકોના નિવેદન નોંધવા તેમજ સાહેદ બનાવવા તજવીજ શરૂ કરવામાં આવી છે. આરોપીઓની ત્રણ સ્ટોન પેઢીના હિસાબો પોલીસને હાથમાં લાગ્યા છે, જે સમગ્ર હિસાબોની સઘન તપાસ કર્યા બાદ અન્ય કોઈ આરોપી તેમાં સામેલ છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે. વાર્ષિક 12% જેટલું વળતર આપવાની લાલચ આપી ઉલ્લેખનીય છે કે આરોપી દ્વારા જુદી-જુદી ત્રણ પેઢી શરૂ કરી કપચીનો વેપાર કરવામાં વાર્ષિક 12% જેટલું વળતર આપવાની લાલચે વર્ષ 2019થી 2024 દરમિયાન રૂ.6.90 કરોડનું રોકાણ કરાવી કટકે-કટકે રૂ.1.08 કરોડ પરત આપ્યા હતા ત્યારબાદથી રકમ આપવાનું બંધ કરી દેતાં અત્યાર સુધીમાં વળતર સહિત રૂ.10.98 કરોડ ન ચુકવવામાં આવતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં આરોપી અમિત ભાણવડીયા અને વિજય માકડીયા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ક્રિકેટ સટ્ટો રમતા કુખ્યાત અખ્તર કચરા ઝડપાયો રાજકોટ શહેર PCB ટિમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન બાતમીના આધારે યાજ્ઞિક રોડ પર રામકૃષ્ણનગર શેરી નં.11 પાસે બગીચાની ફુટપાથ પર એક શખસ મોબાઇલમાં શંકાસ્પદ પ્રવૃત્તિ કરતો હતો તેને ઝડપી લઇ તેની પુછપરછ કરતા તેણે પોતાનુ નામ અખતર શૌકતભાઇ કચરા (ઉ.વ.25) જણાવ્યું હતું. પોલીસે મોબાઇલની તપાસ કરતા તે મોબાઇલમાં ગ્લોબલ777 ડોટ કોમ નામની આઇડી મારફત ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલી બીગ બેશ લીગની પર્થ સ્કોચર્સ અને સીડની સીકસરની મેચ પર ક્રિકેટ સટ્ટો રમતો હોવાનું સામે આવ્યું હતું તેની આઇડીમાં જોતા રૂ.5270ની બેલેન્સ જોવા મળી હતી જેથી પોલીસે આરોપી પાસેથી રૂ.5 હજારની કિંમતનો મોબાઇલ ફોન કબજે કરી તેની સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી બુકીનું નામ ખોલવા તપાસ હાથ ધરી છે. આરોપી અખતર કચરા સામે અગાઉ મારામારી અને દારૂ સહિતના ગુના નોંધાઇ ચૂકયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ડિપ્રેશનમાં રહેતા આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત કલ્પેશભાઈ નિર્મલભાઈ વડેચા (ઉં.વ.48) આજે સવારે 10 વાગ્યા આસપાસ પોતાના ઘરે રૂમમાં લાકડાની આડીમાં વાયર બાંધીને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જેને હોસ્પિટલ ખસેડવામાં આવતા ડોક્ટરે તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસને કરવામાં આવતા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે કલ્પેશભાઈને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. પોતે બે બહેનોના એકના એક ભાઈ હતા તેઓ કલ્પેશ ઇન્ડસ્ટ્રીઝ નામનું કારખાનું ચલાવતા હતા. તેઓ છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં હોવાથી આ પગલું ભરી લીધાનું સામે આવ્યું હતું. વાહન સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત રાજકોટ નજીક એસટી વર્કશોપ પાછળ રહેતા નવીન મનસુખભાઇ ચૌહાણ (ઉં.વ.28) કોઈ કામથી રાવકી નજીક એક્ટિવા લઈ જતો હતો ત્યારે મામા દેવના મંદિર પાસે ખૂંટીયો આડો ઉતરતા સ્કૂટર સ્લીપ થઈ ગયું હતું અને તેને ગંભીર ઇજા પહોંચી હતી જેથી તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં આજ રોજ સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. નવીન બે ભાઈમાં મોટો હતો અને કારખાનામાં નોકરી કરતો હતો. પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ક્રિકેટ રમી રહેલા યુવકને બાઇકે હડફેટે લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું મહંમદ મુમતાઝ (ઉ.વ.28) નવાગામ સ્થિત સ્વતિક ફૂડ કંપનીમાં છેલ્લા 5 વર્ષથી મજુરી કામ કરતો હતો. ગત તા.18ના રોજ મોહમદ કંપનીની પાછળના ભાગે સીમેન્ટ રોડ બાદ ખુલ્લી જગ્યામાં બપોરના 12.30 વાગ્યાની આસપાસ અન્ય શ્રમિક યુવાનો સાથે ક્રીકેટ રમતો હતો. ત્યારે ત્યાંથી છુટક મજુરી કામ કરતો જય કરણ શાહુ જીજે.03.બીએલ.5264 નંબરનું બાઈક લઇ નીકળ્યો હતો અને તેણે મહંમદ મુમતાઝને હડફેટે લીધો હતો જેથી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો તેને માથામાં હેમરેજ થઇ જતા ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી કાયદેસેની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલો 'ચિંતા ચોક' આજે તેના નામ પ્રમાણે જ લોકો માટે ચિંતાનો વિષય બન્યો હતો. ટ્રાફિક અને લોકોની અવરજવરથી સતત ધમધમતા આ જાહેર રસ્તા પર અચાનક શાંતિ ડહોળાઈ હતી. સામાન્ય રીતે વ્યવહારું વાતો થતી હોય ત્યાં આજે ચીસાચીસ અને બૂમરાણ મચી ગઈ હતી. જાહેર માર્ગ પર જ હિંસક દૃશ્યો સર્જાતા વાહનચાલકો પણ થંભી ગયા હતા અને જોતજોતામાં આખું વાતાવરણ તંગ બન્યું હતું. મહિલાઓ અત્યંત આક્રમક રીતે વાળ ખેંચી એકબીજા પર તૂટી પડતી જોવા મળી હતી. લારી મુકવા બાબતે મહિલાઓ વચ્ચે મારામારીઆ આખી ઘટનાનું મૂળ માત્ર એક નાની જગ્યા હતા. રોડ પર લારી ક્યાં મૂકવી અને પાથરણું ક્યાં પાથરવું તે બાબતે બે પક્ષની મહિલાઓ સામાસામે આવી ગઈ હતી. જે ઝઘડો સામાન્ય બોલાચાલીથી શરૂ થયો હતો તેણે જોતજોતામાં ઊગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આજીવિકા મેળવવા માટેની જગ્યાના વિવાદમાં મહિલાઓ પોતાની મર્યાદા ભૂલીને રસ્તા વચ્ચે એકબીજા પર તૂટી પડી હતી. જાણે રસ્તો રણમેદાનમાં ફેરવાઈ ગયો હોય તેવું લાગતું હતું. મહિલાઓ એકબીજાના વાળ ખેંચી ઢોર માર માર્યોસોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, ત્રણથી ચાર મહિલાઓ એકબીજાને ઢોર માર મારી રહી હતી. કોઈ મહિલા બંને હાથે મુક્કાબાજી કરી રહી હતી, તો કોઈએ સામેવાળી મહિલાના વાળ પકડીને તેને રસ્તા પર ઢસડી હતી. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, એક મહિલાને ત્રણ-ચાર સ્ત્રીઓએ મળીને વાળથી પકડી રાખી હતી અને સતત તેને માર મારી રહી હતી. આ દૃશ્યો જોઈને ત્યાં હાજર લોકો પણ અવાક રહી ગયા હતા. માથાકૂટમાં વચ્ચે પડનાર યુવકને પણ મેથીપાક મળ્યોઆ હિંસક મારામારી ચાલી રહી હતી, ત્યારે ભીડમાંથી એક પુરુષે હિંમત બતાવીને ઝઘડો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ત્યાં ઉશ્કેરાટ એટલો વધારે હતો કે સમાધાન કરાવવા ગયેલા આ પુરુષને પણ અન્ય પુરુષોએ માર માર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે, શાંતિ સ્થાપવા ગયેલા વ્યક્તિને પણ માર મારવામાં આવ્યો હતો. આમ, મહિલાઓના આ ઝઘડામાં આસપાસના લોકો પણ લપેટામાં આવી ગયા હતા. લોકો તમાશો જોતા રહ્યા અને વીડિયો બનાવતા રહ્યાઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા, પરંતુ મોટાભાગના લોકો આ હિંસાને અટકાવવાને બદલે પોતાના મોબાઈલમાં કેદ કરવામાં વ્યસ્ત હતા. રસ્તા વચ્ચે ખેલાયેલા આ ‘શેરી યુદ્ધ’ના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાઇરલ થયા છે. એક મહિલા બીજી મહિલાના વાળ પકડીને તેને જોરજોરથી ઢસડી રહી હતી અને તેને નીચે પાડી દેવા મથતી હતી. દૃશ્યોમાં તો ત્યાં સુધી જોવા મળ્યું કે ત્રણથી ચાર મહિલાઓ ભેગી મળીને એક જ મહિલાને ઘેરી વળી હતી અને તેના વાળ ખેંચીને તેને હલવા પણ દેતી નહોતી. કોઈ મહિલા બંને હાથથી મુક્કાનો વરસાદ કરી રહી હતી, તો કોઈ ગુસ્સામાં સામેવાળી વ્યક્તિ પર લાતો ચલાવતી દેખાય છે. રસ્તા વચ્ચે પછડાટ ખવડાવવા અને કપડાં ખેંચવા સુધીની આ હિંસક મારામારીમાં માન-મર્યાદા જાણે નેવે મૂકાઈ હોય તેવું વીડિયો જોતા જણાય છે. પોલીસે સાક્ષીઓની પૂછપરછ શરૂ કરી: પીઆઇઆ સમગ્ર મામલો ડિંડોલી પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ચુડાસમાએ જણાવ્યું હતું કે, હાલમાં મારામારી અંગે એક અરજી મળી છે. પ્રાથમિક તપાસમાં લારી મૂકવા બાબતે વિવાદ થયો હોવાનું બહાર આવ્યું છે. સત્ય શું છે અને કોણે હિંસા ભડકાવી તે જાણવા માટે પોલીસ હવે સાક્ષીઓની પૂછપરછ કરી રહી છે.
પશ્ચિમ રેલવેએ ટ્રેનોની ગતિ વધારી:પ્રતાપનગર-જોબટ અને આણંદ-ગોધરા ખંડ પર મુસાફરી સમય ઘટશે
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળે પ્રતાપનગર-જોબટ અને આણંદ-ગોધરા રેલખંડ પર ટ્રેનોની ગતિમાં વધારો કર્યો છે. આ નિર્ણયથી મુસાફરીના સમયમાં ઘટાડો થશે, જેના પરિણામે યાત્રીઓને વધુ સુવિધાજનક અને સમયબદ્ધ રેલ સેવા મળશે. આ પગલું યાત્રીઓની સુવિધા, સમયપાલનમાં સુધારો અને સંચાલન ક્ષમતા વધારવાના હેતુથી લેવામાં આવ્યું છે. વડોદરા મંડળ હેઠળના પ્રતાપનગર-જોબટ રેલખંડ પર કુલ સાત ટ્રેનોની ગતિ વધારવામાં આવી છે. ટ્રેન નંબર 59122 છોટા ઉદેપુર-પ્રતાપનગર પેસેન્જરના મુસાફરી સમયમાં 20 મિનિટની બચત થશે, જ્યારે ટ્રેન નંબર 59123 પ્રતાપનગર-જોબટ પેસેન્જરના મુસાફરી સમયમાં 10 મિનિટનો ઘટાડો થયો છે. આ ઉપરાંત, ટ્રેન નંબર 59124 જોબટ-પ્રતાપનગર પેસેન્જર, ટ્રેન નંબર 59118 અલીરાજપુર-પ્રતાપનગર પેસેન્જર, ટ્રેન નંબર 59125 પ્રતાપનગર-છોટા ઉદેપુર પેસેન્જર, ટ્રેન નંબર 59117 પ્રતાપનગર-છોટા ઉદેપુર પેસેન્જર અને ટ્રેન નંબર 59121 પ્રતાપનગર-અલીરાજપુર પેસેન્જરના મુસાફરી સમયમાં 5 મિનિટની બચત થશે. આણંદ-ગોધરા રેલખંડ પર પણ બે મેમૂ ટ્રેનોની ગતિમાં વધારો કરવામાં આવ્યો છે. ટ્રેન નંબર 69145 આણંદ-ગોધરા મેમૂના મુસાફરી સમયમાં 10 મિનિટ અને ટ્રેન નંબર 69146 ગોધરા-આણંદ મેમૂના મુસાફરી સમયમાં 5 મિનિટનો ઘટાડો શક્ય બન્યો છે.
દેશના 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન દ્વારા 26 જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ સોમનાથ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ સોમનાથ મંદિરના સરદાર પરિસરમાં યોજાશે, જેમાં વિવિધ કલાકારો દેશભક્તિ, લોકસંસ્કૃતિ અને ભારતીય સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતી પ્રસ્તુતિઓ રજૂ કરશે. પ્રજાસત્તાક પર્વની ઉજવણીના આયોજન અને વ્યવસ્થાને અંતિમ સ્વરૂપ આપવા માટે ઈણાજ કલેક્ટર કચેરીના વી.સી. હોલ ખાતે જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન કલેક્ટરે કાર્યક્રમની સફળતા માટે સંલગ્ન તમામ વિભાગોને પરસ્પર સંકલન સાથે કામગીરી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે, સોમનાથ જેવા પવિત્ર અને ઐતિહાસિક સ્થળે યોજાનાર આ સાંસ્કૃતિક કાર્યક્રમ માત્ર મનોરંજન પૂરતો ન રહે, પરંતુ દેશપ્રેમ, એકતા અને ભારતીય સંવિધાનના મૂલ્યોને ઉજાગર કરતો બની રહે તે દિશામાં આયોજન થવું જોઈએ. કાર્યક્રમ દરમિયાન નાગરિકોની સુવિધા, સુરક્ષા અને શિસ્ત જળવાઈ રહે તે બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં સરદાર પરિસરમાં બેઠક વ્યવસ્થા, મંચ સજ્જા, લાઇટિંગ અને સાઉન્ડ સિસ્ટમ, વીજ પુરવઠો, આરોગ્ય અને તાત્કાલિક સારવારની વ્યવસ્થા, ટ્રાફિક તથા સુરક્ષા વ્યવસ્થાઓ સહિતના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પીજીવીસીએલ, આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ સહિતના અધિકારીઓને તેમની જવાબદારીઓ સોંપી યોગ્ય આયોજન કરવા સૂચનાઓ અપાઈ હતી. આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી વિનોદ જોશી તેમજ શિક્ષણ, આરોગ્ય, રમતગમત, ખેતીવાડી, પીજીવીસીએલ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પ્રશાસન દ્વારા સોમનાથ સહિત આસપાસના વિસ્તારોના નાગરિકોને આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાને ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવવા અપીલ કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય GST વિભાગે અમદાવાદ સ્થિત MKS આલ્કલીઝ એન્ડ કેમિકલ પ્રા. લી. અને જે.કે. ઈન્ટરનેશનલ ટ્રેક લિંક સહિતની 11 પેઢીઓ દ્વારા કરવામાં આવેલી મોટાપાયે GST ચોરીનો પર્દાફાશ કર્યો છે. 5 કરોડની કરચોરી મામલે કેયુર દિપક શાહ અને રોમલ વિનોદકુમાર બાફનાની ધરપકડ કરી છે. કુલ 32 જગ્યાઓમાં આયોજનબદ્ધ રીતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ હતી. તપાસ દરમિયાન ધ્યાને આવેલ કે ઘણી પેઢીઓ અમદાવાદ ખાતે આવેલ એક જ જગ્યાએથી સંચાલિત થતી હતી. કેટલીક ફાર્મા કંપનીઓએ પોતાના GST રજીસ્ટ્રેશનની વિગતોમાં ફેરફાર કરીને આયર્ન એન્ડ સ્ટીલ/ઇંગોટ્સના ટ્રેડિંગને ધંધાકીય પ્રવૃત્તિ તરીકે દર્શાવેલ હતી. જયારે હકીકતમાં આવી પેઢીઓ માલની હેરફેર કર્યા વિના ખોટા બિલો અને ઇ-વે બિલોના આધારે ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવવામાં સંડોવાયેલી હતી. RFID, ઇ-વે બિલો અને ટોલ પ્લાઝા પરના ડેટા વેરિફિકેશન સહિતના અદ્યતન ડેટા એનાલિટિક્સ દ્વારા આ વ્યવહારો માત્ર કાગળ પરના (પેપર ટ્રાન્ઝેક્શન) હોવાનું ફલિત થયેલ. તદુપરાંત, કેટલાક ધંધાના સ્થળ તરીકે દર્શાવેલ સ્થળો પર પેઢીઓ વાસ્તવમાં કાર્યરત ન હોવાનું પણ જણાયુ હતું. રૂ. 20.68 કરોડની ITC ખોટી રીતે મેળવવામાં આવીરેકોર્ડ આધારિત ચકાસણી મુજબ અત્યાર સુધીમાં કુલ રૂ.114.89 કરોડના કરપાત્ર વ્યવહારો શોધી કાઢવામાં આવ્યા છે, જેમાં રૂ. 20.68 કરોડની ITC ખોટી રીતે મેળવવામાં આવેલ. આમ, આ તપાસો દરમિયાન મળી આવેલ કર ચોરીની રકમ રૂ.5 કરોડથી વધુ હોઈ CGST/GGST અધિનિયમની કલમ 132 હેઠળ આ ગુનો કોગ્નિઝેબલ અને બિન-જામીનપાત્ર છે. કેસની ગંભીરતાને ધ્યાને લઇ બે વ્યક્તિઓની ધરપકડ કરી, નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, અમદાવાદ સમક્ષ રજૂ કરવામાં આવેલ. જેઓને કોર્ટ દ્વારા ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે, જેમાં જપ્ત કરાયેલા દસ્તાવેજો, ડિજિટલ પુરાવા, નાણાકીય વ્યવહારો (ફાઇનાન્શિયલ ટ્રેલ્સ) તથા આંતરરાજ્ય કડીઓની તપાસનો સમાવેશ થાય છે. ગુજરાત રાજ્ય GST વિભાગ કરચોરી સામે કડક કાર્યવાહી કરવા અને સરકારની આવકનું સંરક્ષણ કરવા માટે પોતાની પ્રતિબદ્ધતા ફરી એકવાર સુનિશ્ચિત કરે છે.
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને મધ્ય ઝોનના પ્રભારી હિતેન્દ્રસિંહ ચૌહાણે આજે પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આવેલા મરડેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લીધી હતી. તેમની સાથે ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પવિત્ર સ્થાને હિતેન્દ્રસિંહ ચૌહાણે દેવાધિદેવ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી ભાવપૂર્વક પૂજન-અર્ચન કર્યા હતા અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ ધાર્મિક પ્રસંગે તેમની સાથે પંચમહાલ જિલ્લા ભાજપ પ્રભારી અને પ્રદેશ કારોબારી સભ્ય ડો. ભરત ડાંગર, પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ સહિત સ્થાનિક સંગઠનના હોદ્દેદારો અને અન્ય મહાનુભાવોએ પણ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મરડેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ, આ મહાનુભાવોએ મંદિરના પટાંગણમાં હાજર રહી સ્થાનિક લોકો સાથે પણ મુલાકાત કરી હતી.
ગુજરાત યુનિવર્સિટીને પરીક્ષાના ટાઈમ ટેબલમાં ભૂલ કરવી ભારે પડી છે. પહેલા B.com સેમ 1ની પરીક્ષાની તારીખ 22થી શરૂ થતી હોવાની હોલ ટિકિટ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. CAની પરીક્ષા 22 તારીખે હોવાથી B.com ની પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો હતો. 22 તારીખની પરીક્ષા 2 ફેબ્રુઆરીએ ગોઠવવામાં આવી હતી. પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવતા 30 હજાર જેટલી હોલ ટિકિટ ફરી છાપવામાં આવી હતી. જે બાદ વિદ્યાર્થીઓને બોલાવીને નવી હોલ ટિકિટ સોંપવામાં આવી હતી. જોકે, તે બાદ પરીક્ષા નિયામક અને કોમ્પ્યુટર સેન્ટરના ડિરેક્ટર દોષનો ટોપલો એક બીજા પર થોપવા લાગ્યા હતા. તેમજ બંને વિભાગ વચ્ચે સંકલન ન હોવાથી જૂની હોલ ટિકિટમાં તારીખની સિક્વન્સ પણ ખોટી રીતે ગોઠવવામાં આવી હતી. યુનિવર્સિટીની ભૂલના કારણે નવી હોલ ટિકિટનો ખર્ચો વિદ્યાર્થીઓની ફીમાંથી વસૂલવામાં આવશે. 59 વર્ષીય વૃદ્ઘ સાથે 60 હજારની સાયબર ઠગાઈઆંબાવાડીમાં રહેતા 59 વર્ષીય વૃદ્ધને 5 મહિના પહેલા બેંકનો મેસેજ આવ્યો હતો. જેમાં 10 હજારના 12 ટ્રાન્ઝેક્શન થયા હતા. જેથી તેમણે ક્રેડિટકાર્ડમાંથી થયેલા ટ્રાન્ઝેક્શન અટકાવવા માટે બેંકમાં ફોન કર્યો હતો. આ ટ્રાન્ઝેક્શન રોકવામાં આવે તે પહેલા 60 હજાર રૂપિયા કોઇ ઓનલાઇન શોપિંગ એપમાં ટ્રાન્સફર થઇ ગયા હતા. જેથી ફરિયાદીએ સાયબર ક્રાઇમ હેલ્પલાઇનને જાણ કરી હતી. જે બાદ તે અરજી એલિસબ્રિજ પોલીસને ટ્રાન્સફર કરાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવક પર ત્રણ લોકોનો હુમલોકુબેરનગર વિસ્તારમાં રહેતો 18 વર્ષીય યુવક ધોરણ 10માં અભ્યાસ કરે છે. તે ગઈકાલે કપડાની ખરીદી કરવા કોટ વિસ્તારમાં ગયો હતો. બપોરે તે ઘીકાંટા કોર્ટ પાસે પહોંચ્યો ત્યારે ત્રણ શખસોએ આવીને યુવકને ઢોર માર માર્યો હતો. જોકે ત્રણ પૈકી એક આરોપીની પત્ની સાથે આ યુવકને આડા સંબંધ હોવાનો વ્હેમ રાખીને તેના પર હુમલો થયો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. આસપાસના લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. જે બાદ યુવકને માર મારનારા ત્રણ લોકો સામે ગુનો નોધી તપાસ હાથ ધરવામાં આવી છે.
ગોધરા તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં પાનમ સિંચાઈ વિભાગના પાણી વિતરણ શિડ્યુલ સામે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. સિંચાઈ વિભાગ દ્વારા જાહેર કરાયેલા શિડ્યુલથી નારાજ ખેડૂતોએ સમયસર પાણી ન મળવાની ભીતિ વ્યક્ત કરી છે, જેના કારણે 1000 હેક્ટરથી વધુ ઉનાળુ પાક સુકાઈ જવાનો ભય છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વર્તમાન શિડ્યુલ ખેતી માટે અનુકૂળ નથી. તેઓ ડાંગરના પાકને બચાવવા માટે 1 ફેબ્રુઆરીથી પાણી છોડવાની માંગ કરી રહ્યા છે. ગોધરા તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં અંદાજે 1000 હેક્ટરથી વધુ જમીનમાં ઉનાળુ પાકનું વાવેતર થયું છે. ખેડૂતોના મતે, જો 21 ફેબ્રુઆરી સુધી પાણી રોકી રાખવામાં આવશે, તો પાણીના અભાવે ડાંગરનો પાક સુકાઈ જશે અને તેમને મોટું આર્થિક નુકસાન થશે. વિરોધ કરી રહેલા ખેડૂતોએ જણાવ્યું કે, આ બાબતે સિંચાઈ વિભાગને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં શિડ્યુલમાં કોઈ ફેરફાર ન થતાં ખેડૂતોએ આજે રોષ પ્રગટ કર્યો હતો. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે પાણી છોડવાનો નિર્ણય નહીં લેવાય, તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
IND vs NZ T20 Match : ભારતનો સ્કોર 10 ઓવરમાં 117/2, અભિષેકની ફિફ્ટી, સૂર્યાની પણ દમદાર બેટિંગ
India vs New Zealand First T20 Cricket Match Score : ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી પાંચ ટી20 મેચોની સીરિઝ શરૂ થઈ ગઈ છે. નાગપુરમાં રમાઈ રહેલી મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી ભારતને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું છે. સાતમી ફેબ્રુઆરીથી ટી20 વર્લ્ડકપ-2026ની શરૂઆત થઈ રહી હોવાથી આ સીરિઝ ખૂબ જ મહત્ત્વની છે. વર્લ્ડકપ પહેલા બેટર, બોલરોને પોતાની પ્રતિભા દેખાડવાની અને ટીમની મજબૂતી દેખાડવાની આ છેલ્લી તક છે. ભારતનો સ્કોર.
ટ્રમ્પની નીતિઓથી 56% અમેરિકન અસંતુષ્ટ છે. માત્ર 37% લોકો જ ટ્રમ્પની નીતિઓથી ખુશ છે. આ કોઈ હવાબાજી નથી. આ મારિસ્ટ પોલનું રિસર્ચ છે. જેના વિશે આપણે એટલા માટે વાત કરી રહ્યા છીએ કારણ કે આજે 60થી વધુ દેશોના 3 હજારથી વધુ નેતાઓ દાવોસની વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં મળ્યા છે. જેમાં આજે ટ્રમ્પે પણ ભાષણ આપ્યું. જ્યારે આ બધું થઈ રહ્યું હતું ત્યારે યુરોપના 27 દેશોના સંગઠન યુરોપિયન યુનિયને ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર વાત આગળ વધારી દીધી છે. એટલે કે આનાથી ભારતમાં 10 લાખ નોકરી પેદા થશે અને યુરોપ અને ભારતના અંદાજે 200 કરોડ લોકોને નોકરી કે ધંધામાં ફાયદો થવાનો છે. ટ્રમ્પે વિશ્વભરમાં ટેરિફનો વરસાદ કર્યો છે; જેમાં તેના મિત્ર હોય તેવા દેશો પણ સામેલ છે. ત્યારે વિશ્વના મોટા દેશો હવે ટ્રમ્પથી કંટાળીને ધીમે-ધીમે અમેરિકાથી છેડો ફાડીને તેની સામે બાથ ભરવા ભેગા થઈ રહ્યા છે. આજે આપણે આ બધા જ વિષય પર વાત કરીશું અને સમજીશું કે અમદાવાદ કે અમરેલીમાં બેઠેલા વ્યક્તિને આનાથી શું ફાયદો શું નુકસાન. નમસ્કાર... સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં અત્યારે માઈનસ 10 ડિગ્રી તાપમાન છે, પણ તેની ઠંડી સુરતના વેડરોડ અને મોરબીના ટાઈલ્સ યુનિટ્સમાં પણ અનુભવાઈ રહી છે. આપણને થાય કે બરફના પહાડો વચ્ચે બેસીને ટ્રમ્પ કે ઈમેન્યુઅલ મેક્રોન જેવા ભદ્ર નેતાઓ બોલે તેનાથી વરાછામાં બેઠેલા હીરાના કારખાનેદાર કે અંકલેશ્વરની ઈન્ડસ્ટ્રીને શું લેવા દેવા? અમેરિકા સામે ન્યૂ વર્લ્ડ ઑર્ડરની એન્ટ્રી તો વાત કંઈક એમ છે કે આ બેઠકનું નામ છે વર્લ્ડ ઈકોનોમિક ફોરમ. ઈકોનોમિક એટલે અર્થ અને આપણી ભાષામાં તેનો મતલબ થાય છે પૈસા. આ જ વિષયનો બીજો ભાગ જોઈએ તો આ જ બેઠકમાં ટ્રમ્પના પાગલપણાથી કંટાળી વિશ્વની નવી વ્યવસ્થા એટલે કે ન્યૂ વર્લ્ડ ઓર્ડર પણ આકાર લેવા જઈ રહ્યો છે. આવી જ બેઠકો આપણી થાળીમાં દાળ રોટલી, થેલીમાં શાકભાજીના અને શેરબજારના પોર્ટફોલિયો સુધીના ભાવ નક્કી કરે છે. અમેરિકન સ્વાર્થ વિશ્વ માટે વર્ચસ્વનો જંગ વર્ષ 2026ની વર્લ્ડ ઈકોનોમિક ફોરમની થીમ છે સ્પિરિટ ઓફ ડાયલોગ એટલે કે સંવાદની ભાવના, પણ અંદર તો કંઈક બીજી જ ખીચડી રંધાઈ રહી છે. આ બેઠક અમેરિકા માટે કે તેના સમર્થનવાળા દેશો માટે ભલે સંવાદ હોય પણ વિશ્વ માટે તો વર્ચસ્વનો જંગ બની ગઈ છે. યુનાઈટેડ નેશન્સ હોય, નાટો હોય કે યુરોપિયન હોય, આ બધી જ વ્યવસ્થાઓ તૂટવાની છે અને વિશ્વમાં અર્થવ્યવસ્થા અને પાવરની એક નવી જ દુકાન ઉભી થવા જઈ રહી છે. અને આ દુકાનનો વેપારી હવે ટ્રમ્પની શરતોથી નહીં પણ પોતાની શરતોથી ચાલશે. ગ્રીનલેન્ડના કારણે વિશ્વ એક મંચ પર ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં તેણે ચીનને પરેશાન કર્યું. બીજા કાર્યકાળમાં વિશ્વને ટેરિફ, ધમકી, આર્મી એક્શન વગેરેથી હેરાન કર્યું. એમાં પણ વેનેઝુએલા પર કબજો મેળવી લીધા બાદ ધેલા થયેલા ટ્રમ્પ બીજા આઠ દેશો પર અમેરિકાનો ઝંડો ફરકાવવાના સપના જોઈ રહ્યા છે. પણ પોતાના નળિયા પર કાંકરો પડે તે કોઈ ઘરધણી સહન ન કરે. અમેરિકાના ગ્રીનલેન્ડ પર કબજો કરવાના દાવાના કારણે ડેનમાર્ક, યુરોપિયન યુનિયન અને કેનેડા સહિત મોટા ભાગના દેશો હવે ખાર ખાઈ ગયા છે. ફ્રાન્સને વિશ્વની વાઇન રાજધાની કહેવામાં આવે છે. એવામાં ટ્રમ્પે વાઈન પર 200 ટકા ટેરિફ નાખવાની ધમકી આપી જેના પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને સ્વિત્ઝરલેન્ડના દાવોસમાં કહી દીધું કે, ફ્રાન્સ ધમકીમાં નહીં, સન્માનમાં વિશ્વાસ રાખે છે. આ જ બેઠકમાં કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીએ કહી દીધું કે, અમેરિકાના નેતૃત્વવાળી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા હવે ખતમ થઈ ગઈ છે. દુનિયા એક નવી અસ્થિર, સંઘર્ષવાળી વ્યવસ્થા તરફ વળી રહ્યું છે. જૂનો વૈશ્વિક ક્રમ પાછો નહીં આવે. ઝેલેન્સ્કી-રામાફોસા સામે વર્તનનો ઉનો રિવર્સ આ જ બેઠકમાં ડેનમાર્કના સાંસદ અને યુરોપિયન સંસદના સભ્ય એન્ડર્સ વિસ્ટિસને તો દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમના મંચ પર ટ્રમ્પને ગંદી ગાળ આપી દીધી છે. ટૂંકમાં ટ્રમ્પ જે રીતે દુનિયા સાથે વર્તન કરે છે ચાહે એ રામાફોસા હોય કે ઝેલેન્સ્કી હોય તેવી જ ભાષામાં હવે દુનિયાના નેતાઓએ પણ ટ્રમ્પ સાથે વાત કરવાનું શરૂ કરી દીધું છે. કોઈ સેફ નથી, બધા ટ્રમ્પથી હેરાન ટ્રમ્પની નીતિઓમાં જે દેશો ધ્યાન નથી આપતા અથવા જે દેશો એવું માને છે કે ટ્રમ્પથી આપણે કોઈ નુકસાન નથી તેવા લોકોને પણ માર્ક કાર્નીએ કહ્યું છે કે તમે ટેબલ પર ન હોવ તો મેન્યૂમાં તો છો જ... આ બધી જ પરિસ્થિતિ આવી છે વેનેઝુએલા બાદ ગ્રીનલેન્ડ હડપી લેવાની ટ્રમ્પની જીદના કારણે. ગ્રીનલેન્ડ ડેનમાર્કનું છે, ડેનમાર્ક યુરોપિયન યુનિયનનો ભાગ છે એટલે ગ્રીનલેન્ડ પર હુમલો એટલે યુરોપિયન યુનિયન પર હુમલો. જો કે ટ્રમ્પ આવું કરવા એટલા માટે માગે છે કારણ કે ગ્રીનલેન્ડનો બરફ પીગળી રહ્યો છે. જેની અસરે તેની જમીનમાં દટાયેલા રેર અર્થ મિનરલ્સ બહાર આવી રહ્યા છે. આ જ મિનરલ્સથી આપણા સ્માર્ટ ફોન્સ અને ઈલેક્ટ્રીક કાર સહિત બીજી વસ્તુઓ પણ ચાલે છે. જેના કારણે યુરોપ હવે સુરક્ષા અને અર્થવ્યવસ્થા માટે અમેરિકા પર નિર્ભર રહેવાની જગ્યાએ ઓપશન્સ શોધી રહ્યું છે. EUની અમેરિકાને લાત, ભારત સાથે વાત જ્યારે આ બધુ ચાલી રહ્યું હોય છે ત્યારે યુરોપિયન યુનિયનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેનના મોઢે એક એક શબ્દ બહાર આવે છે મધર ઓફ ડિલ્સ. આ જાણવું એટલા માટે જરૂરી છે કારણ કે EU હવે વિશ્વની ઉભરતી અર્થવ્યવસ્થા ભારત તરફ નજર કરીને બેઠું છે. ભારત માટે પણ ટ્રમ્પના ટેરિફ સામે આ ડિલ એક ઈન્સ્યોરન્સ છે. આ ડીલથી ભારત અને યુરોપિયન યુનિયન્સના દેશો એકબીજા સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી શકશે. આનાથી યુરોપના 27 દેશો અને ભારતના 140 કરોડ લોકો એમ મળીને કૂલ 200 કરોડ જેટલા લોકોને ફાયદો થવાનો છે. આ સોદાથી કાપડ, ફૂટવેર, કપડા અને ચામડા જેવા ક્ષેત્રોમાં 10 લાખથી વધુ લોકોને નોકરી મળી શકે છે. યુરોપથી આવતી કાર અને બાઈક્સ સહિતની ઘણી વસ્તુઓના ભાવ પણ ઘટી શકે છે. યુરોપમાં ટૂંકા ગાળાના વિઝા મળવાના કારણે ભારતના IT, મેડિકલ, ડોક્ટરી ક્ષેત્રના લોકોને પણ ફાયદો મળવાનો છે. ગ્રીન એનર્જી, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એડવાન્સ મેન્યુફેકચ્રિંગમાં 100 બિલિયન ડોલરથી વધુનું રોકાણ થઈ શકે તેવો પણ અંદાજ છે. જો કે બધું સારું જ નથી આ ડિલથી દવાના ભાવ વધી શકે છે અને નવા MSMEનું ગળું પણ ટૂંપાઈ શકે છે. યુરોપિયન યુનિયનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને ડાવોસમાં એક મહત્વનું ભાષણ આપ્યું છે. અમેરિકાનું કહેવું છે કે વિશ્વ વેપારી યુરોપિયન હાલ કશું જ નથી, એવામાં ટ્રમ્પે શું નથી કહ્યું તે આ ભાષણમાં જાણવા જેવું છે. વૈશ્વિક GDPમાં હિસ્સો (1990 અને 2025) યુરોપ: 25%થી ઘટીને 14% અમેરિકાઃ 22%થી ઘટીને 14% ચીન: 4%થી વધીને 20% રશિયાની પરિસ્થિતિની વાત કરીએ તો યુક્રેન યુદ્ધના કારણે તેની પણ હાલત ખરાબ છે. યુક્રેન યુદ્ધ બાદ રશિયા-યુરોપ સંબંધો ગેસની આયાત અગાઉ 45%, હાલ 13% કોલસાની આયાત અગાઉ 51%, હાલ ઝીરો ક્રુડ ઓઈલની આયાત અગાઉ 26%, હાલ 2% યુરોપનો રશિયા મોહ ભંગ થયો ટૂંકમાં યુરોપે રશિયન ગેસ, તેલ અને કોલસા પરની પોતાની નિર્ભરતા લગભગ ખતમ કરી દીધી છે અને ભવિષ્યમાં તેને કાયમ માટે બંધ કરવાની દિશામાં કામ કરી રહ્યું છે. ડેવોસ મુલાકાત બાદ ઉર્સેલા ભારત આવવાના છે અને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર વાત આગળ વધારશે. EUનો ટેરિફ ઓછો આપણો વધારે ભારત અને EU વચ્ચેના વેપારમાં હાલ ટેરિફ અસમાનતા આવી રહી છે. યુરોપિયન કંપનીઓ આપણી પાસેથી ઓછો ટેરિફ વસૂલે છે પણ આપણે યુરોપિયન કંપનીઓ પાસેથી જંગી ટેરિફ વસૂલીએ છીએ. બીજી તરફ, ભારત ટેક્સટાઇલ જેવા ક્ષેત્રોમાં ડ્યુટી-ફ્રી એક્સેસ મેળવવા માંગે છે. મધર ઓફ ડિલનું ગણિત સમજો ભારત EUને 75.9 બિલિયન ડોલરનો માલ મોકલે છે EU ભારતને 60.7 બિલિયન ડોલરનો માલ મોકલે છે. ભારત અને યુરોપ વચ્ચે કુલ વેપાર 130 બિલિયન ડોલર આસપાસ ભારત-EU ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થાય તો બંને વચ્ચેનો વેપાર 2030 સુધીમાં 250 બિલિયન ડોલર આસપાસ થઈ શકે છે. EUનો સૌથી મોટો વેપારી દેશ અમેરિકા છે જ્યારે ભારત બીજા નંબરે છે. જો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થાય તો ભારત પહેલા નંબરે પહોંચે. ભારતના સૌથી મોટા વેપારી દેશોમાં EU 9મા નંબરે છે જે FTA બાદ 5મા નંબર અંદર પહોંચી શકે મધર ઓફ ડિલથી આપણને શું ફાયદો? જો ભારત અને યુરોપ વચ્ચે મધર ઓફ ડિલ થઈ જાય તો આજથી પાંચ વર્ષ કે તેથી વધુ સમય બાદ ઓડી, મર્સિડિઝ, બીએમડબલ્યૂ અને વોક્સવેગનની કારની કિંમત સસ્તી થઈ શકે, દારુ સસ્તો થઈ શકે, કોમ્પ્યુટર-મેડિકલ ડિવાઈઝ-ઈન્ડસ્ટ્રીયલ મશીનરી- મહિલાઓના કોસ્મેટિક્સ વગેરેના ભાવ ઘટી શકે. યુરોપ અમેરિકાની લડાઈમાં ભારત ખાટ્યું ટ્રમ્પ ગાઝાને ફરીથી ઉભું કરવા બોર્ડ ઓફ પીસ બનાવીને દુનિયાના 60 દેશ પાસેથી 10-10 હજાર કરોડ રૂપિયાની ઉઘરાણી કરી રહ્યા છે તેના જવાબમાં વિશ્વ અત્યારે ધાક ધમકીથી ડરીને સ્વતંત્ર વેપાર અને સાર્વભૌમત્વ પર ભાર મૂકી રહ્યા છે. ઉપરથી યુરોપ હવે પહેલાની જેમ ચીન અને અમેરિકા પર નિર્ભર રહેવા માગતું નથી. માટે યુરોપ અમેરિકાની લડાઈથી ભારત ખાટી ગયું છે. યુરોપ સામે મુશ્કેલી એ છે કે તે નાટોનું સભ્ય છે. આ એક મિત્ર દેશ સંગઠન છે જે નાટોના કોઈ એક દેશ પર હુમલો એટલે તમામ નાટો દેશો પર હુમલો તેવું માને છે. જો કે ટ્રમ્પે નાટો દેશોને પણ ગ્રીનલેન્ડ જીદના કારણે નથી છોડ્યા. માટે હવે નાટોના ધી એન્ડના કારણે યુરોપે પોતાની રક્ષા જાતે જ કરવી પડશે. જેમાં ડિફેન્સમાં કરોડો ડોલર્સ ખર્ચાશે. અને છેલ્લે… ઉત્તર કોરિયાના તાનાશાહ નેતા કિમ જોંગ ઉને તેમના ડેપ્યુટી પીએમને ખખડાવીને હાંકી કાઢ્યા છે. તેણે કહ્યું કે યાંગ મોટી જવાબદારીઓ સંભાળવા લાયક જ નથી. અમારી કેડર એપોઈન્ટમેન્ટ સિસ્ટમમાં ભૂલ થઈ છે. કૂતરાંને એવું લાગે કે તે ગાડું ખેંચી રહ્યું છે તો તેને સમજી જવું જોઈએ કે ગાડું બળદ જ ખેંચે છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર)

28 C