બનાસકાંઠામાં આંગણવાડી, તેડાગર બહેનોનું 3 દિવસથી આંદોલન:પડતર માંગણીઓ માટે અચોક્કસ મુદતની હડતાળ યથાવત્
બનાસકાંઠા જિલ્લામાં આંગણવાડી અને તેડાગર બહેનો છેલ્લા ત્રણ દિવસથી પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલન કરી રહી છે. તેઓ કામથી અળગા રહીને સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરી રહી છે. આ બહેનોએ જ્યાં સુધી તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. આંગણવાડી બહેનોની મુખ્ય માંગણીઓમાં કામગીરીનું ભારણ ઓછું કરવું, સરકાર દ્વારા ફોન ન આપવા છતાં ઓનલાઈન કામગીરી માટે દબાણ કરવું અને નેટવર્કની સમસ્યાઓનો સમાવેશ થાય છે. તેઓ જણાવે છે કે તેમનું મુખ્ય કાર્ય બાળકોને પોષણ અને શિક્ષણ આપવાનું છે, પરંતુ લાભાર્થીઓના કામના બોજને કારણે તેઓ બાળકો પર પૂરતું ધ્યાન આપી શકતી નથી. આ ઉપરાંત, હાઈકોર્ટે એપ્રિલ 2025થી પગાર વધારીને વધારાનો પગાર ચૂકવવાનો આદેશ આપ્યો હોવા છતાં સરકારે તેનો સ્વીકાર કર્યો નથી. આ આંદોલનના કારણે આંગણવાડીમાં આવતા બાળકોના શિક્ષણ અને પોષણ પર પણ અસર થઈ રહી છે. આંદોલનના ભાગરૂપે, આજે પાલનપુર જિલ્લા પંચાયત કચેરી ખાતે આંગણવાડી અને તેડાગર બહેનોએ ધરણાં યોજી પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.
પાટણ નગરપાલિકા દ્વારા શહેરના અધૂરા રોડ-રસ્તાના વિકાસ કામો ઝડપથી હાથ ધરવામાં આવ્યા છે. આ અંતર્ગત, પદ્મનાભ મંદિરના ઉબડખાબડ માર્ગને પેવર બ્લોકથી બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ માર્ગ પદ્મનાભ કેનાલથી પદ્મનાભ ભગવાનના મુખ્ય પ્રવેશદ્વાર સુધીનો છે. મંદિરના ટ્રસ્ટી મંડળ, સમાજના નગરસેવકો અને દર્શનાર્થીઓની લાંબા સમયથી આ રસ્તો સુધારવાની માંગ હતી, જેને ધ્યાનમાં રાખીને પાલિકાએ આ કામ હાથ ધર્યું છે. નવીન રોડ બનવાથી શ્રી પદ્મનાભ મંદિરના ટ્રસ્ટી મંડળ, સમાજના નગરસેવકો અને મંદિર પરિસરમાં દર્શનાર્થે આવતા ભક્તોએ પાટણ નગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો છે.
વલસાડ જિલ્લાના વાપીમાં 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર પાડોશી કિશન ખેલાડી વર્માને વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે ભોગ બનનાર કિશોરીને ગુજરાત વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૂ. 4 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના ગયા વર્ષે મે મહિનામાં બની હતી. વાપીના છીરી વિસ્તારમાં રહેતો 25 વર્ષીય આરોપી કિશન વર્મા સગીરાને સ્કૂટી શીખવાડવાના બહાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. તે સમયે સગીરાના પિતા અમદાવાદ ગયા હતા. સગીરાના પરિવારજનોએ ડુંગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપી સગીરાને મહારાષ્ટ્રના કોલ્હાપુર લઈ ગયો હતો. કોલ્હાપુર રેલવે સ્ટેશન પરથી ચાઈલ્ડ લાઈનની મદદથી બંનેને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તબીબી તપાસમાં સગીરા દોઢ માસની ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. આ કેસ વાપી સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી રહ્યો હતો. સરકારી વકીલ અનિલ ત્રિપાઠીની દલીલો અને રજૂ કરાયેલા પુરાવાઓને આધારે કોર્ટે આરોપીને IPC કલમ 376(2)(N),376(3) તથા પોક્સો એક્ટ કલમ 6 હેઠળ દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે દરેક ગુનામાં 20 વર્ષની સખત કેદ અને દંડની સજા ફટકારી છે, જે તમામ સજાઓ એકસાથે ભોગવવાની રહેશે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો આરોપી દંડની રકમ નહીં ભરે તો તેને વધુ એક વર્ષની સાદી કેદ ભોગવવી પડશે. આ કડક ચુકાદાને કારણે સગીરાઓ સામેના ગુનાઓમાં સમાજમાં કડક સંદેશ ગયો હોવાનું માનવામાં આવે છે.
નવસારીના દાભેલમાં બે ગૌવંશની હત્યા:ખેતરમાં મોડી રાત્રે કતલ, મરોલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ડાભેલ ગામે ગૌવંશની હત્યાનો બનાવ સામે આવ્યો છે. ગામના પાદર ફળિયા પાછળ આવેલા એક ખેતરમાં બે ગૌવંશને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. આ મામલે મરોલી પોલીસ મથકે બે શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ, રાત્રિના અંધકારનો લાભ લઈ કસાઈઓએ આ ગૌવંશના કતલ કર્યા હતા. અંગત આર્થિક ફાયદો મેળવવાની લાલચમાં ગાયોને લાવીને તેમની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ કેસમાં પોલીસે ડાભેલના રહેવાસી મહમદ ઉર્ફે ડુમ ઉસ્માન એકલવાયા અને અન્ય એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી છે. આરોપીઓએ અંદાજે 12,000ની કિંમતના ગૌવંશની હત્યા કરી હતી. પોલીસ પહોંચે તે પહેલાં આરોપીઓ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. મરોલી પોલીસે આ મામલે 'ગુજરાત પશુ સંરક્ષણ (સુધારા) અધિનિયમ 2017' ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ફરાર આરોપીઓને પકડવા માટે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ભાવનગર ફાયર બ્રિગેડની ટીમે 12 કલાકના ટૂંકા ગાળામાં શહેરના તથા જિલ્લાના એક ગામમાં ખાડામાં ફસાયેલ કુલ ત્રણ ગૌવંશોનુ રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢી કાઢ્યા હતા, ગઈકાલે ભાવનગર ફાયર બ્રિગેડના જવાનોને પ્રથમ કોલ મોડી રાત્રે મળ્યો હતો કે, તળાજા જકાતનાકાથી સિદસર ગામ તરફ જવાના રોડ પર હોટલ આરાધના સામે ખુલ્લી ગટરમાં બે આંખલાઓ લડતા લડતા આંખ ખુલ્લી ગટરમાં ખાબક્યા છે જે માહિતી મળતા ફાયર બ્રિગેડનો કાફલો તુરંત ઘટના સ્થળે પહોંચ્યો હતો અને 20 ફૂટ થી વધુ ઊંડી ગટરમાં ફસાયેલ બંને આંખલાઓને બહાર કાઢવા ઓપરેશન હાથ ધર્યું હતું અને કલાકોની જહેમત બાદ જેસીબી અને ક્રેઈન જેવા મશીનોની મદદથી બંને ખૂંટીયાઓને સુરક્ષિત બહાર કાઢી પાંજરાપોળમાં મોકલી આપાયા હતા, આ કામગીરીમાં જીવદયા પ્રેમીઓ પણ જોડાયા હતા, એવી જ રીતે અન્ય એક કોલ માં ફાયર બ્રિગેડને માહિતી મળી હતી કે ભાલપંથકમા આવેલ કાળાતળાવ ગામે એક બીમાર અને અશક્ત ગાય કાદવ કીચડ ભરેલા ખાડામાં ફસાઈ છે આ માહિતી મળતા જ ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને અથાગ મહેનત બાદ બીમાર ગાયનું રેસ્ક્યુ કરી આ ગાયને પણ સારવાર માટે પાંજરાપોળમાં મોકલી આપવામાં આવી હતી.
વેરાવળના પ્રમુખનગરમાં સિંહ પરિવારની એન્ટ્રી:બે સિંહણ અને ત્રણ બાળ સિંહો સોસાયટીમાં દેખાયા
વેરાવળ શહેરના પ્રમુખનગર સોસાયટી વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે સિંહ પરિવાર પ્રવેશ્યો હતો. સ્વામિનારાયણ મંદિર પાછળ, બાયપાસ રોડ નજીક આવેલા આ વિસ્તારમાં વહેલી સવારે બે સિંહણ અને ત્રણ બાળ સિંહો લટાર મારતા જોવા મળ્યા હતા, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સિંહો રાત્રિના સમયે બાયપાસ નજીક દેખાયા હતા. સવારે લોકો બહાર નીકળ્યા ત્યારે સિંહોની હાજરીની જાણ થતાં ગભરાટ ફેલાયો હતો. સોસાયટીના કેટલાક રહેવાસીઓએ આ દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા, જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. સિંહોની હાજરીથી ખાસ કરીને બાળકો અને વૃદ્ધોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રહેવાસીઓએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક સમયથી શહેરના સીમાડાના વિસ્તારોમાં સિંહોની અવરજવર વધી છે. ગીર સોમનાથ જિલ્લો ગીર નેશનલ પાર્કની નજીક આવેલો હોવાથી, સિંહોની સંખ્યા અને તેમનો વિસ્તાર વધતા તેઓ હવે રહેણાંક વિસ્તારો તરફ પણ આવી રહ્યા હોવાનું મનાય છે. પાણી અને ખોરાકની શોધમાં સિંહો ગામડાં અને શહેરના સીમાડે પહોંચતા હોવાના કિસ્સાઓ અગાઉ પણ નોંધાયા છે. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમે વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું છે. રહેવાસીઓને રાત્રિના સમયે સાવચેતી રાખવા, એકલા બહાર ન નીકળવા અને સિંહ દેખાય તો તાત્કાલિક જાણ કરવા સૂચનાઓ આપવામાં આવી છે. શહેરના સીમાડે સિંહોની વારંવારની અવરજવરથી માનવ-વન્યજીવ સહઅસ્તિત્વનો પ્રશ્ન ફરી ચર્ચામાં આવ્યો છે. સ્થાનિકોમાં હાલ માટે સાવચેતી જ એકમાત્ર ઉપાય હોવાનું મનાઈ રહ્યું છે.
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા ઝડપી કાર્યવાહી હાથ ધરીને કુલ 1489 જેટલા ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ મોટા પાયાના ડિમોલિશન બાદ સ્થાનિક રહીશોમાં આવાસ અને વૈકલ્પિક વ્યવસ્થાને લઈ ચિંતા વ્યાપી હતી. જોકે, મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા અગાઉ જ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે જંગલેશ્વર વિસ્તારના 800 કરતા વધારે અસરગ્રસ્ત લોકોને આવાસની ફાળવણી પહેલેથી જ કરી દેવામાં આવી છે. જે લોકો હજુ પણ વિસ્થાપિત છે અને આવાસ મેળવવા ઈચ્છે છે, તેમના માટે તંત્ર દ્વારા સુવર્ણ તક આપવામાં આવી છે, પરંતુ આ માટે નિર્ધારિત સરકારી નિયમોનું પાલન કરવું અનિવાર્ય રહેશે. આવાસ મેળવવા માટેના જરૂરી દસ્તાવેજો અને પુરાવા મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયમ મુજબ, જે લોકોના મકાનો ડિમોલિશનમાં ગયા છે તેમણે પોતાની પાત્રતા સાબિત કરવા માટે ચોક્કસ પુરાવા રજૂ કરવા પડશે. અરજદારે લાઈટ બિલ, મતદાર ઓળખ કાર્ડ, શ્રમ સર્વે કાર્ડ, રાશન કાર્ડ, બીપીએલ કાર્ડ, જન્મનો દાખલો, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ પૈકીના કોઈપણ બે મજબૂત પુરાવા આપવાના રહેશે. ખાસ નોંધનીય બાબત એ છે કે આ પુરાવાઓ 1-12-2020 પહેલાના હોવા જોઈએ. જો કોઈ પરિવાર સંયુક્ત લાઈટ બિલ ધરાવતો હોય, તો તેમણે આ અંગેનું સત્તાવાર સોગંદનામું પણ રજૂ કરવાનું રહેશે. પાત્રતાના માપદંડો અને સોગંદનામું માત્ર દસ્તાવેજો જ નહીં, પરંતુ અરજદારે પોતાની પ્રામાણિકતા અને જરૂરિયાત સાબિત કરવા માટે વધારાના સોગંદનામા પણ આપવા પડશે. જેમાં તેમણે સ્પષ્ટતા કરવાની રહેશે કે તેઓ આ વિસ્તારમાં કેટલા વર્ષોથી વસવાટ કરે છે. ઉપરાંત, અરજદારે લેખિતમાં બાંહેધરી આપવી પડશે કે ભારતભરમાં ક્યાંય પણ તેમની માલિકીનું અન્ય કોઈ મકાન નથી અને ભૂતકાળમાં તેમણે સરકારની કોઈપણ આવાસ યોજનાનો લાભ મેળવ્યો નથી. ખરેખર જરૂરિયાતમંદ અને ઘરવિહોણા પરિવારોને જ યોજનાનો લાભ મળે તે આ પ્રક્રિયાનો હેતુ એ છે. મનપાની કાર્યવાહી અને આંકડાકીય વિગત મનપાનાં સિટી ઈજનેર પરેશ અઢીયાએ દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં જંગલેશ્વરનાં કુલ 992 લોકોને તેમના આધાર અને પુરાવા રજૂ કરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી. જેના અનુસંધાને કુલ 761 લોકોએ આવાસ માટે સત્તાવાર અરજીઓ કરી છે. તંત્ર દ્વારા આ અરજીઓની ચકાસણી કર્યા બાદ 22-11-25ના રોજ 106 લોકોને આવાસની ફાળવણી કરી દેવામાં આવી છે. બાકી રહેતા પૈકી 179 આવાસના ડ્રો માટે આવાસ વિભાગને જાણ કરવામાં આવી છે, જેની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ થશે. દસ્તાવેજ વગરના લોકોની સ્થિતિ અને ભવિષ્યની યોજના વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલની સ્થિતિ મુજબ, તંત્રને 257 લોકોના સોગંદનામા પ્રાપ્ત થયા છે, જેની સમીક્ષા ચાલી રહી છે. જોકે, સર્વે દરમિયાન ચિંતાજનક વિગત એ પણ સામે આવી છે કે 219 લોકો એવા છે જેમની પાસે પોતાની ઓળખ કે રહેઠાણ સાબિત કરવા માટે કોઈ પણ પ્રકારના દસ્તાવેજો ઉપલબ્ધ નથી. આ સિવાયના અન્ય તમામ પાત્રતા ધરાવતા રહીશો માટે મનપા દ્વારા આવાસ ફાળવવાની કામગીરી અગ્રતાના ધોરણે કરવામાં આવશે જેથી વિસ્થાપિતોને વહેલી તકે કાયમી આશરો મળી શકે. આવાસ ફોર્મ ભરવા અને મકાન મેળવવા માટેની સંપૂર્ણ પ્રક્રિયા સ્ટેપ 1: જરૂરી દસ્તાવેજો એકત્રિત કરવાસૌ પ્રથમ, તમારે નીચે મુજબના દસ્તાવેજો તૈયાર રાખવા પડશે. યાદ રાખજો કે આમાંથી કોઈપણ બે પુરાવા 1-12-2020 પહેલાના હોવા અનિવાર્ય છે:* લાઈટ બિલ (જો સંયુક્ત હોય તો સોગંદનામું સાથે રાખવું)* મતદાર ઓળખ કાર્ડ (Election Card)* શ્રમ સર્વે કાર્ડ* રાશન કાર્ડ* બીપીએલ (BPL) કાર્ડ* જન્મનો દાખલો અથવા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC)* ડ્રાઇવિંગ લાયસન્સ સ્ટેપ 2: ફરજિયાત સોગંદનામું તૈયાર કરાવવુંતમારે વકીલ કે નોટરી પાસે એક સોગંદનામું તૈયાર કરાવવું પડશે, જેમાં નીચેની વિગતોની સ્પષ્ટતા હોવી જોઈએ:* તમે આ વિસ્તારમાં કેટલા વર્ષોથી વસવાટ કરી રહ્યા છો.* તમારા નામે ભારતભરમાં ક્યાંય પણ અન્ય કોઈ પાકું મકાન નથી.* તમે અગાઉ સરકારની કોઈ પણ આવાસ યોજનાનો લાભ લીધેલ નથી. સ્ટેપ 3: મનપાના આવાસ વિભાગનો સંપર્કતમારા તમામ અસલ દસ્તાવેજો અને તેની ઝેરોક્ષ નકલો સાથે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) ના આવાસ વિભાગની કચેરીએ જવાનું રહેશે. ત્યાંથી આવાસ માટેનું ફોર્મ મેળવીને તેમાં સચોટ વિગતો ભરવી. સ્ટેપ 4: અરજી અને દસ્તાવેજોની ચકાસણીતમારું ફોર્મ જમા કરાવ્યા બાદ, મનપાના અધિકારીઓ દ્વારા તમારા દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. જો તમે અગાઉ મળેલી 992 લોકોની નોટિસની યાદીમાં હોવ, તો તમારી પ્રક્રિયા પ્રાથમિકતાના ધોરણે થશે. સ્ટેપ 5: ડ્રો પ્રક્રિયામાં સામેલ થવુંએકવાર તમારી અરજી મંજૂર થઈ જાય, પછી તમારું નામ આવાસના ડ્રો (Computerized Draw) માટે મોકલવામાં આવશે. હાલમાં 179 આવાસના ડ્રો માટે વિભાગને જાણ કરી દેવામાં આવી છે, જેમાં પાત્ર ઉમેદવારોને સામેલ કરવામાં આવશે. સ્ટેપ 6: આવાસની ફાળવણી અને કબજોજો ડ્રોમાં તમારું નામ લાગે, તો તંત્ર દ્વારા તમને ફાળવણી પત્ર (Allotment Letter) આપવામાં આવશે. ત્યારબાદ નિયમ મુજબની રૂ. (રૂપિયા) ની નજીવી રકમ કે ડિપોઝિટ ભરીને તમે મકાનનો કબજો મેળવી શકશો. ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાપાલિકાએ જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરેલા મેગા ડિમોલિશન બાદ ત્યાંના બેઘર બનેલા લોકોનું પુનર્વસન કરવા માટેની માંગ ઉઠી હતી. અનેક લોકો દ્વારા મકાન ભલે ગયું પણ તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી. આ વિસ્તારમાં અશાંતધારો હોવાથી લોકોને ભાડે કે વેંચાણથી મકાન મળતા નહીં હોવાનું પણ સામે આવ્યું હતું. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને મનપા તંત્રએ જંગલેશ્વરનાં વિસ્થાપિતોને આવાસમાં અગ્રતાક્રમ આપવાનો નિર્ણય લેવાયો છે. તેમજ આ વિસ્તારમાંથી પોતાનું ઘર ગુમાવનારા લોકોને ઝડપથી આવાસ મળે તે માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે સરકારી પ્રક્રિયા ધીમી અને નિયમો અઘરા હોય છે. ત્યારે અહીંના વિસ્થાપિતોને ઘરનું ઘર ક્યારે મળશે તે જોવું રહ્યું.
મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી અમદાવાદ તરફ જઈ રહેલા ટ્રકમાંથી વડોદરા PCB પોલીસની ટીમે 34.87 લાખના દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. ડ્રાઇવરના કેબિનની પાછળ ચોરખાનું બનાવીને દારૂ સંતાડી રાખેલો હતો. પોલીસે ડ્રાઇવર સહિત બે લોકોને ઝડપી પાડ્યા છે અને 4 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ટ્રક મોબાઈલ અને રોકડ રકમ મળી રૂપિયા 50.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા વિસ્તારમાં PCB પોલીસની ટીમ પેટ્રોલીંગમાં ફરી રહી હતી. આ દરમિયાન નંદેસરી ચોકડી પાસે આવતા બાતમી મળી હતી કે, એક ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઇવે ઉપરથી અમદાવાદ તરફ જવાનો છે. જેના આધારે પીસીબીની ટીમે નંદેસરી ચોકડી પાસેથી એક્સપ્રેસ હાઇવે ઉપર ફાજલપુર ઉતરવાના નાકા પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી મુજબનો ટ્રક આવતાં તેને રોક્યો. આ ટ્રકમાં જોતા ડ્રાઈવર સહિત બે શખ્સ બેઠેલા હતા. તેમને નીચે ઉતારીને પાછળની સાઈડ ચેક કર્યું હતું, પરંતુ કઈ ન હતું. પરંતુ ડ્રાઈવર કેબીનની પાછળ એક પતરાનું અલગથી કેબીન બનાવ્યું હતું, જે કેબીન ઉપરના ભાગેથી ખુલતુ હોય જે ખોલી જોતા જેમાં વિદેશી દારૂની બોટલો સંતાડી રાખેલી જણાઈ આવી હતો. ટ્રકનો ચાલક જોધારામ જોગારામ જાટ (ગોદારા) (રહે. લોહારવા ગામ, નખારીનાડી, તા. ધોરીમન્ના, જી. બાડમેર રાજસ્થાન) તથા ભાગીરથ સમારામ જાટ (ગોદારા) (રહે. લોહારવા ગામ, નખારીનાડી, તા. ધોરીમન્ના. જી. બાડમેર રાજસ્થાન)ની ધરપકડ કરાઈ હતી. વિદેશી દારૂ તથા બીયરના ટીન મળી રૂ. 34.87 લાખનો જથ્થો, રોકડા રૂપિયા 17 હજાર, મોબાઈલ અને ટ્રક રૂપિયા 15 લાખ મળી કુલ મળી રૂપિયા 50.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે સુત્રારામ સારણ જાટ, સુરજખાન સહિત ચારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
રાજકોટના આંગણે રમાયેલી AIU વેસ્ટ ઝોન હેન્ડબોલ મહિલા ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વિજયપતાકા લહેરાવીને ઇતિહાસ રચી દીધો છે. ગુજરાતના રમતગમતના ઇતિહાસમાં આ પ્રથમ અવસર છે જ્યારે કોઈ મહિલા હેન્ડબોલ ટીમ વેસ્ટ ઝોન સ્તરે ચેમ્પિયન બની હોય. આ ઐતિહાસિક સિદ્ધિએ રાજ્યના ખેલ જગતમાં ગૌરવનો નવો અધ્યાય ઉમેર્યો છે. આજે સવારે રમાયેલી ફાઈનલ મેચમાં જબરદસ્ત રોમાંચ જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમે University of Rajasthan સામે શાનદાર રમતનું પ્રદર્શન કરતા 24–20ના સ્કોરથી જીત મેળવી ચેમ્પિયનશિપનો તાજ પોતાના નામે કર્યો હતો. આખી ટુર્નામેન્ટ દરમિયાન ટીમના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ સંકલન અને દ્રઢ મનોબળનો પરિચય આપ્યો હતો, જે અંતે સુવર્ણ સફળતામાં પરિણમ્યો હતો. સ્પર્ધાના અંતે મેડલ ટેલી પર નજર કરીએ તો: ગોલ્ડ મેડલ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિલ્વર મેડલ: University of Rajasthan (જયપુર) બ્રોન્ઝ મેડલ: Parul University (વડોદરા) ચોથો ક્રમ: Bhavnagar University આ ટોચની 4 ટીમો હવે આગામી માર્ચ મહિનામાં કેરળ ખાતે યોજાનારી 'ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી હેન્ડબોલ સ્પર્ધા'માં પશ્ચિમ ઝોનનું પ્રતિનિધિત્વ કરશે. ટુર્નામેન્ટના સફળ આયોજન બાદ ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઉત્પલ જોશી, SGS યુનિવર્સિટીના HOD ડૉ. રણછોડ રથવી, ડૉ. જયદીપસિંહ ચૌહાણ અને ઓબ્ઝર્વર ડૉ. ધીરેન્દ્ર તિવારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ચાર્જ ડાયરેક્ટર ડૉ. હરીશ રાબા અને શારીરિક શિક્ષણ વિભાગની 100થી વધુ સભ્યોની ટીમ તેમજ વોલન્ટિયર્સની મહેનતથી આ આયોજન યાદગાર બન્યું હતું. સમગ્ર યુનિવર્સિટી પરિવારે વિજેતા દીકરીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી છે.
બોટાદમાં બાઈક ચાલક પર કાર ચડાવી હત્યાના પ્રયાસના કેસમાં ચાર આરોપીઓ પૈકી બેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓને ઘટનાસ્થળે લાવી ગુનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસે ફિરોઝ ઉર્ફે કાજી કુરેશી અને તોસીફ રજાકભાઈ જાંગડની ધરપકડ કરી છે. આ કાર્યવાહી બોટાદ ટાઉન પીઆઈ ખરાડી અને તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. આ ઘટના ગત 15 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે સાળંગપુર રોડ પર બની હતી. જેમાં શબ્બીરભાઈ નિયાતર પર કાર ચડાવીને તેમને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શબ્બીરભાઈ નિયાતરે આ મામલે ફિરોઝ ઉર્ફે કાજી કુરેશી, તાહિર ઉર્ફે ફાઈટર જાંગડ, તોસીફ રજાકભાઈ જાંગડ અને સુફિયાન સિરાજભાઈ ખલ્યાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બાકીના બે આરોપીઓને પકડવા માટે સઘન શોધખોળ હાથ ધરી છે.
U-14 ફૂટબોલ ફાઇનલ: વડોદરા સિટી vs જામનગર રૂરલ:સાંજે અમદાવાદ રૂરલ અને રાજકોટ સિટી વચ્ચે હાર્ડલાઈન મેચ
હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી U-14 રાજ્યકક્ષાની બહેનોની ફૂટબોલ સ્પર્ધામાં શુક્રવારે ફાઇનલ મેચ વડોદરા સિટી અને જામનગર રૂરલ વચ્ચે રમાશે. આ મેચ સવારે 8:30 કલાકે શરૂ થશે. આ ઉપરાંત, ગુરુવારે સાંજે 4:00 કલાકે ત્રીજા સ્થાન માટેની હાર્ડલાઈન મેચ અમદાવાદ રૂરલ અને રાજકોટ સિટી વચ્ચે યોજાશે. આ મેચનો વિજેતા ત્રીજા ક્રમે આવશે. ખેલ મહાકુંભ 2025 અંતર્ગત આ સ્પર્ધા 23 થી 27 ફેબ્રુઆરી દરમિયાન પાંચ દિવસ માટે આયોજિત કરવામાં આવી છે. જેમાં કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો અને લીગ મેચો રમાઈ હતી. ગુરુવારે રમાયેલી સેમી ફાઇનલ મેચોમાં વડોદરા સિટીએ અમદાવાદ રૂરલને 2-0 થી હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. જ્યારે બીજી સેમી ફાઇનલમાં જામનગર રૂરલે રાજકોટ સિટીને 4-0 થી પરાજય આપી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
મોરબીના વીસીપરા વિસ્તારમાંથી ગત 19 ફેબ્રુઆરીથી ગુમ થયેલા જમીન લે-વેચના ધંધાર્થી તાજમહમદભાઈ કરીમભાઈ ભટ્ટીની ક્રૂર હત્યા કરાઈ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓએ યુવાનની હત્યા કરી તેની લાશને પીપળી ગામ પાસેના એક બંધ કારખાનામાં સળગાવી, દાટી દીધી હતી અને પુરાવા મિટાવવા માટે તેની ઉપર સિમેન્ટનું ધાબું પણ ભરી દીધું હતું. પત્નીએ નોંધાવી હતી ગુમ થયાની ફરિયાદવીસીપરામાં રમેશ કોટન મિલ પાછળ રહેતા રજીયાબેન ભટ્ટીએ ગત 23 ફેબ્રુઆરીના રોજ મોરબી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેમના પતિ તાજમહમદભાઈ (ઉં.વ. 47) 19 ફેબ્રુઆરીના રોજ સવારે 9 વાગ્યે 'જમીન જોવા જાઉં છું' તેમ કહીને ઘરેથી નીકળ્યા હતા, પરંતુ સાંજ સુધી પરત ફર્યા નહોતા. પરિવારની શોધખોળ બાદ પણ કોઈ પતો ન લાગતા આખરે પોલીસની મદદ લેવામાં આવી હતી. બાતમીના આધારે ખોદકામ અને તપાસતપાસ દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે તાજમહમદભાઈની હત્યા જેતપર રોડ પર પીપળી ગામ નજીક એક બંધ કારખાનામાં કરવામાં આવી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 4 શકમંદોને રાઉન્ડઅપ કર્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં હત્યાની કબૂલાત મળતા પોલીસે ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમ સાથે રાખી ઘટનાસ્થળે ખોદકામ શરૂ કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લાશને ખાડામાં નાખી સળગાવી દેવાઈ હતી અને ત્યારબાદ તે જગ્યા ઓળખાય નહીં તે માટે ઉપર પાકું ધાબું ભરી દેવાયું હતું. પોલીસની ચુસ્ત કાર્યવાહીમોરબી સિટી બી ડિવિઝન પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. હાલ જે સ્થળે લાશ દાટી હોવાની આશંકા છે ત્યાં જેસીબીની મદદથી ખોદકામ કરી અવશેષો મેળવવા પ્રયાસો ચાલુ છે. જમીન લે-વેચના વ્યવસાયમાં કોઈ જૂની અદાવત કે નાણાકીય લેતીદેતી આ હત્યા પાછળનું કારણ હોઈ શકે છે તેવી શક્યતા સેવાઈ રહી છે.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથોડા ગામે ગઇકાલે મોડી રાત્રે ગૌહત્યા અટકાવવા ગયેલી કોસંબા પોલીસ ટીમ પર હિંસક હુમલો થયો હતો. આ હુમલામાં એક પોલીસકર્મી અને એક ગૌરક્ષક ઘાયલ થયા હતા. આ ઘટના બાદ આજે સુરત જિલ્લા પોલીસની ફૌજ હથોડા ગામમાં ઉતારી દેવામાં આવી છે. બીજી તરફ ગૌરક્ષકોએ પોલીસની ઢીલી કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. હથોડા ગામમાં પોલીસની 15 ટીમો ઉતરીસુરત ગ્રામ્ય DYSP બી.કે. વનારની આગેવાની હેઠળ 7 PI, 15 PSI સહિત 15 પોલીસ ટીમોએ ગામમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે. આ કોમ્બિંગ દરમિયાન કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓને ગામમાંથી ઝડપી તેમને વધુ પૂછપરછ માટે કોસંબા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે. પહેલા જાણી લો કે સમગ્ર મામલો શું છેસુરત જિલ્લાના કોસંબા પાસે આવેલા હથોડા ગામમાં ગૌહત્યાની બાતમીના આધારે ગઇકાલે પોલીસ જવાનો અને ગૌરક્ષકો ગામમાં ગયા હતા. આ દરમિયાન ત્યાં હાજર રહેલા અસામાજિક તત્વોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો, જેમાં ગૌરક્ષક સત્યપ્રકાશ યાદવના માથાના ભાગે તલવારના ગંભીર ઘા વાગતા તેમને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ હિંસક અથડામણમાં ઘાયલ થયેલા પોલીસ જવાનો હાલ કીમ-કોસંબાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બાઇક પર આવેલા શખ્સોએ 50નું ટોળુ બોલાવ્યું: જિલ્લા પોલીસ વડાઆ મામલે સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ જણાવ્યું કે, રાત્રે દોઢથી બે વાગ્યાના ગાળામાં કોસંબાના હથોડા ગામમાં ગૌહત્યાની બાતમી મળતા બાતમીદાર સાથે અમારો છ લોકોનો પોલીસ સ્ટાફ ગામમાં ગયો હતો. રાત્રે અંધારામાં બેટરીના અજવાળે અમારો સ્ટાફ સર્ચ કરતો હતો ત્યારે અચાનક છ જેટલા શખ્સો બે બાઇક લઇને આવ્યા હતા અને પોલીસ સ્ટાફ સાથે બોલાચાલી કરી હતી. જે બાદ તેમણે ફોન કરીને અન્ય 50 જેટલા શખ્સોને બોલાવ્યા હતા. આ ટોળાએ રકઝક બાદ પોલીસ અને બાતમીદાર પર જીવલેણ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્તો હાલ સારવાર હેઠળ છે. 'કાયદો હાથમાં લેનારા કોઈપણને છોડવામાં નહીં આવે'એસ.પી રાજેશ ગઢિયાએ વધુમાં જણાવ્યું કે, અમારા પોલીસકર્મીની ફરિયાદ મુજબ અમે હત્યાનો પ્રયાસ, રાયોટિંગ અને ફરજમાં રુકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ DySP બી.કે. વનારની આગેવાની હેઠળ અમારી ટીમ તપાસ કરી રહી છે. કેટલાક આરોપીઓને ઝડપી લીધા છે, જેમનો શું રોલ હતો એ અંગે તપાસ ચાલી રહી છે. , કાયદો હાથમાં લેનારા કોઈપણ શખ્સને છોડવામાં આવશે નહીં અને એફએસએલ (FSL) ની મદદથી વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્રિત કરી તમામ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે. થોડે દૂર હતા ને ટોળુ ભેગુ થઇ ગયું: સાજન ભરવાડઆ અંગે ગૌરક્ષક સાજન ભરવાડે જણાવ્યું હતું કે, કોસંબાના હથોડા ગામમાં મોટા પ્રમાણમાં ગૌ-હત્યા થવાની છે એ બાતમી મળતા અમારા જય પટેલે LCBનો સંપર્ક કર્યો અને LCBના સ્ટાફ સાથે હથોડા ગામમાં જવા નીકળ્યા હતા. થોડે દૂર હતા એટલે વિધર્મીઓનું એક ટોળું ભેગું થઈ ગયું હતું. રસ્તો આંતરી પોલીસ અને અમારા ગૌરક્ષકો ઉપર જીવલેણ હુમલો કરી દીધો હતો. જેમાં અમારા ગૌરક્ષક સત્યપ્રકાશ યાદવને માથાના ભાગે 15થી 20 ટાંકા આવેલા છે. પોલીસના પણ બે માણસો ઘાયલ થઈ ગયા છે, એક પોલીસનો પણ હાથ તૂટી ગયો છે. 'કસાઇઓની નહીં પોલીસની ચાલ બદલાઇ ગઇ'સાજન ભરવાડે વધુમાં જણાવ્યું કે, સરકાર માટે અને તંત્ર માટે આ શરમજનક ઘટના કહેવાય. એક બાજુ આપણા ગૃહમંત્રી એમ કહે છે કે કસાઈઓની ચાલ બદલાઈ જશે, પણ આ દ્રશ્ય જોતા અમને એવું લાગે છે કે પોલીસની ચાલ બદલાઈ ગઈ છે. હથોડા ગામમાં અવારનવાર ગૌ-હત્યા થાય છે. સુરત જિલ્લાના કોસલી, ઝંખવાવ, હથોડા, હથુરણ કે કોસંબા.. આવા સંવેદનશીલ ગામ મામલે અમે અવારનવાર તંત્રને પણ રજૂઆત કરીએ છીએ, પોલીસને પણ જાણ કરીએ છીએ, છતાં કોઈ પગલાં લેતા નથી. આ પોલીસ કસાઈઓથી ડરે છે કે પછી કંઈ બીજી રીતે એન-કેન પ્રકારે ગૌ-હત્યા કરવામાં આ લોકોનો જ હાથ છે. સ્થળ પર પહોંચે એની પહેલાં જ ઘેરી લીધા:અજયભાઈ પટેલ સુરત જિલ્લા બજરંગ દળ સંયોજક અજયભાઈ પટેલે જણાવ્યું કે, સાજનભાઈ ભરવાડને બાતમી મળી હતી કે કોસંબાના હથોડા ગામમાં મોટા પ્રમાણમાં ગૌહત્યા થવાની છે. આ બાતમીના આધારે પોલીસને જાણ કરીને એક ગૌરક્ષક અને પાંચ પોલીસ સાથે મળીને એ જે સ્થળે ગૌહત્યા થવાની હતી એ સ્થળ પર રેડ કરવા ગયા હતા.એ સ્થળ પર પહોંચે એની પહેલાં જ ત્યાંના સ્થાનિકોએ ગૌરક્ષકોને અને પોલીસને ઘેરીને પોલીસ પર હુમલો કર્યો હતો. એમાં અમારા એક ગૌરક્ષકના માથા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરેલો છે, એને માથા પર હેમરેજ છે અને એક પોલીસકર્મીનો હાથ ભાંગી ગયો છે. 'આ લોકોએ પ્રશાસનની ચાલ બદલી નાંખી'અજયભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે, આ મોદીના ગુજરાતમાં ગાયના નામે બનેલી સરકાર, હિન્દુત્વના નામે બનેલી સરકાર, હિન્દુત્વની વાતો થતી હોય અને આ સરકારના ડેપ્યુટી સીએમ અવારનવાર જો કહેતા હોય કે એક પણ ગૌહત્યારાઓને છોડવામાં નહીં આવે અને ગૌહત્યારાઓની ચાલ બદલાઈ જશે. અત્યારે તો એવી ઘટના બની છે કે કહેવાય નહીં કે આ લોકોએ પ્રશાસનની ચાલ બદલાવી નાખી છે. 'પોલીસ ઓફિસરોને બંદૂક લગ્નમાં ફોડવા આપી છે?'અજયભાઈ પટેલે જણાવ્યું કે, ઘટના બાદ પ્રશાસને કોમ્બિંગ કરીને 25 જણાની અટકાયત કરી છે. પણ સ્થળ પર ખાખી પહેરેલી હતી એ લોકોને ખાખીનો પણ ડર નહોતો અને ત્યાંના સ્થાનિક પી.આઈ. કમરે બંદૂક લટકાવીને ત્યાં સ્થળ પર હતા. તો સરકારે શું આ સ્થાનિક પી.આઈ.ને આ પોલીસ ઓફિસરોને બંદૂક લગ્ન સીઝનમાં ફોડવા માટે આપેલી છે કે આ ગુનેગારોને કાયદાનું ભાન કરાવવા માટે આપેલી છે.?
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં શહેરનાં ઇતિહાસનું સૌથી મોટું ગણાતું 1509 મકાનોનું મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે. આગામી સમયમાં કલેક્ટર હસ્તક આવતી જગ્યામાં ખડકાયેલા 1358 મકાનોનું ડિમોલિશન પણ કરવામાં આવનાર છે. ત્યારે દિવ્ય ભાસ્કર જંગલેશ્વર ડિમોલિશનની ઇનસાઈડ સ્ટોરી જણાવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ તાજેતરમાં રાજકોટની મારવાડી કોલેજ ખાતે યોજાયેલી વાઇબ્રન્ટ સમિટનાં બે મહિના પૂર્વે એટલે કે ઓક્ટો.-નવે.-2025માં આ પ્લાન ઘડાયો હતો. ખુદ રાજ્યનાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, આ સ્થળે ગુનાખોરી વધી રહી છે, ત્યાંથી ગેરકાયદે દબાણો દૂર કરો, નહીં તો આ જગ્યા ગુનેગારો માટેનો મોટો અડ્ડો બની જશે. જેને લઈને તરત આ મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે. ‘ગૃહમંત્રીએ મેપ જોઈ કહ્યું આ વિસ્તારમાં ગુનાખોરી મોટા પ્રમાણમાં વધી રહી છે’મનપા દ્વારા જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું તેના ચારેક મહિના મહિના પૂર્વે રાજકોટનાં મ્યુ. કમિશ્નર તુષાર સુમેરા અને પો. કમિશ્નર બ્રજેશ ઝા સહિતના ઉચ્ચ અધિકારીઓની એક બેઠક મળી હતી. આ બેઠકમાં જંગલેશ્વરનો નકશો નિહાળતા ખુદ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં ગુનાખોરી મોટા પ્રમાણમાં વધી રહી છે. અને અહીં મોટાભાગનાં ગેરકાયદેસર બાંધકામો છે. જો આ દબાણો દૂર કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં સમગ્ર વિસ્તાર ગુનાખોરીનો મોટો અડ્ડો બની જશે. વાઇબ્રન્ટ સમિટનું આયોજન થયું ને ડિમોલિશન પાછું ઠેલાયુંજ્યારે ડિમોલિશનમાં કેટલો સમય લાગશે તે સવાલના જવાબમાં પોલીસ અને મ્યુ કમિશ્નરે આ માટે માત્ર 3-4 દિવસ જેટલો સમય લાગશે તેવું જણાવ્યું હતું. માત્ર એટલું જ નહીં તુરંત જ આ મેગા ડિમોલિશન કરવા તૈયારી દર્શાવી હતી. જોકે ત્યારે રાજકોટની મારવાડી કોલેજ ખાતે જ વાઇબ્રન્ટ સમિટનું ભવ્ય આયોજન નક્કી થયું હતું. આ સમયે ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ દેશ-દુનિયાનાં મોટા ઉદ્યોગકારો હાજર રહેવાના હતા. જેને લઈને હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આટલો સમય થયો છે ત્યારે બે મહિના ભલે વધારે લાગે, વાઇબ્રન્ટ દરમિયાન મોદી સાહેબની હાજરીમાં કોઈ વિરોધ ન થાય તે માટે હાલ કંઈપણ કરવું નથી. ગૃહમંત્રીએ સૂચના આપી ને ધડાધડ નોટિસો મોકલાઈહર્ષ સંઘવીની સૂચના મુજબ કલેક્ટર અને મ્યુ. કમિશ્નર તંત્ર દ્વારા જંગલેશ્વર વિસ્તારના લોકોને નોટિસો આપી દેવામાં આવી હતી. જોકે કલેક્ટર તંત્રની કાર્યવાહી સામે સ્ટે મળી ગયો હોવાથી ડિમોલિશન કરી શકાયું નથી. જો કે મનપા તંત્રએ આગોતરું આયોજન કરી કેવિયેટ પણ દાખલ કરી હોવાથી જંગલેશ્વરનો કેસ કોઈપણ ફી વિના લડતા વકીલોને સ્ટે મળી શક્યો નહોતો. બીજીતરફ ખુદ નાયબ મુખ્યમંત્રીની સૂચના હોવાથી કોઈ રાજકીય વિઘ્ન પણ નડયું નહીં. એટલું જ નહીં કાંકરી પણ નહીં ખરવા દઈએ તેવું કહેનાર વિપક્ષ પણ ડોકાયો નથી. જેને લઈ મનપાએ પોલીસની મદદથી માત્ર બે દિવસમાં આખું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું છે. ત્યારે આગામી સમયમાં કલેક્ટર તંત્ર દ્વારા પણ 1358 ગેરકાયદે મકાનો તોડી પાડવામાં આવે તેવી પૂરતી શક્યતા છે. જાણો ડિમોલિશનનો સમગ્ર ઘટનાક્રમજંગલેશ્વર બાબતની સુનાવણી હાઈકોર્ટમાં 19 અને 20 ફેબ્રુઆરી, ગુરુવાર અને શુક્રવારે થઈ હતી. રહેવાસીઓ દ્વારા ડિમોલિશન સામે રક્ષણ મેળવવા માટે હાઈકોર્ટમાં ત્રણ અલગ-અલગ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. શુક્રવારે, રાજ્ય સરકાર અને રાજકોટ મહાપાલિકાએ કોર્ટને જાણ કરી હતી કે તેઓ આ બાબતે વિગતવાર જવાબ દાખલ કરશે. રાજકોટ મહાનગરપાલિકા વતી હાજર રહેલા સરકારી વકીલ જી.એચ. વિરકે દલીલ કરી હતી કે હાઈકોર્ટ સમક્ષના કોઈપણ અરજદાર પાસે આ બાંધકામો પર કોઈ કાયદેસરનો હક નથી, કારણ કે તેઓ આજી નદીના પટ અને ટાઉન પ્લાનિંગ (TP) રોડની જમીન પર કબજો જમાવનાર ગેરકાયદે અતિક્રમણકારો છે. હાઇકોર્ટમાંથી સ્ટે ન મળતા જ બુલડોઝર ફેરવી દેવાનો આરંભ કર્યોસત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું હતું કે કોઈપણ અરજદાર પુનર્વસન લાભો માટે પાત્ર નથી. કોર્ટે કોઈ વચગાળાની રાહત આપી ન હતી અને કાર્યવાહી દરમિયાન અરજદારોએ મુદત માંગી હતી. તેમજ શનિવાર, 21 ફેબ્રુઆરીએ જંગલેશ્વરના રહેવાસીઓ દ્વારા ડિમોલિશન શરૂ થાય તે પહેલાં તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરતી અન્ય એક અરજી કરવામાં આવી હતી. જોકે, વહેલી સુનાવણીની વિનંતી ફગાવી દેવામાં આવી હતી. કોઈ સ્ટે ન હોવાથી તંત્રએ ઝડપથી કાર્યવાહી હાથ ધરી હતી. અને સોમવારની વહેલી સવારથી ડિમોલિશન શરૂ કરી માત્ર બે દિવસમાં નદીના પટમાંથી 1500 કરતા વધારે ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા છે. 87 હજાર ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈતાજેતરના સમયમાં રાજ્યમાં ક્યાંય પણ હાથ ધરવામાં આવેલી આ સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી હોવાનું મનાય છે. અધિકારીઓનો અંદાજ છે કે આ ઝુંબેશ દ્વારા 87 હજાર ચોરસ મીટરથી વધુ કિંમતી સરકારી જમીન પાછી મેળવવામાં આવી છે, જેનાથી હવે આજી નદીનો કુદરતી પ્રવાહ પુનઃસ્થાપિત થશે. તેમજ નદીના પટમાં થયેલા દબાણોને કારણે પાણીનો પ્રવાહ અવરોધાતા રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં દર વર્ષે જે પૂરની સ્થિતિ સર્જાતી હતી. તે હવે પછી સર્જાશે નહીં. આ વિસ્તાર વર્ષોથી ગુનાહિત તત્વોનો અડ્ડો બની ગયો હતો: હર્ષ સંઘવીઆ ડિમોલિશનનાં પ્રથમ દિવસે સાંજે પત્રકાર પરિષદને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ વિસ્તાર વર્ષોથી ગુનાહિત તત્વોનો અડ્ડો બની ગયો હતો. તેમણે વધુમાં કહ્યું કે કેટલાક મકાનો બહારથી નાના દેખાતા હતા, પરંતુ અંદરથી તે ખૂબ સુવ્યવસ્થિત તેમજ આલિશાન હતા. નાયબ મુખ્યમંત્રીએ ખુલાસો કર્યો હતો કે તાજેતરમાં પોલીસે ટૂંકા ગાળામાં જંગલેશ્વરમાંથી હત્યાના કેસમાં આઠ આરોપીઓની ધરપકડ કરી છે. આ ઉપરાંત, હુમલાના કેસમાં 68 આરોપી અને બળાત્કાર તથા અપહરણના કેસનાં કુલ 19 આરોપીઓની આ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. જુગારની ગેરકાયદે પ્રવૃતિઓ સાથે સંકળાયેલા 80થી વધુ આરોપીઓની પણ અટકાયત કરવામાં આવી છે. નશા વિરોધી એક મોટી કાર્યવાહીમાં, 472 કિલોગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો અને ડ્રગ સંબંધિત કેસોમાં આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. 11 હિસ્ટ્રી શીટરના કુલ 8 મકાન, 97 ઓરડી સહિતના દબાણો ધ્વસ્ત કર્યાડિમોલિશનનાં બીજા દિવસે 24 ફેબ્રુઆરીએ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ મીડિયાને જણાવ્યું હતું કે, રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા 11 હિસ્ટ્રી શીટરોના કુલ 8 મકાન, 97 ઓરડી, 3 દુકાન અને એક 3000 સ્કવેરફૂટનો વંડો તોડી પાડવામાં આવ્યો છે. 11 હિસ્ટ્રીસીટરોના 8 આલીશાન મકાન તોડી પાડવામાં આવ્યા. આ ડિમોલિશનથી ગુનેગારોની ગુનાખોરી પર અંકુશ આવશે અને ગેરકાયદે પ્રવૃત્તિ થતી અટકશે. આરોપીઓ પોતે આલીશાન મકાનમાં રહેતા હતા અને નદીના પટ્ટમાં ઓરડી બનાવી ભાડે આપતા હતા અને તે રકમનો ઉપયોગ ગેરકાયદે પ્રવૃત્તિમાં કરવામાં આવતો હતો. આ સાથે જ આરોપીઓનાં નામ તેમજ ગુનાહિત ઇતિહાસ સહિતની વિગતો જાહેર કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ 1509 જેટલા મકાનો ઉપર બુલડોઝર ફેરવીને આ મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં અંદાજે 10,000 જેટલા લોકો બેઘર બન્યા છે. ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવાનાં જણાવ્યા અનુસાર આ પૈકી 11 હિસ્ટ્રી સીટરોના કુલ 8 મકાન, 97 ઓરડી, 3 દુકાન અને એક 3000 સ્કવેરફૂટનો વંડો તોડી પાડવામાં આવ્યો હતો. આમ જોવા જઈએ તો ગેરકાયદે પ્રવૃત્તિ કરતા મકાન અને ઓરડીની સંખ્યા 200 કરતા ઓછી હતી. જોકે તંત્ર દ્વારા 1509 મકાનો તોડી પાડીને અનેક લોકોને બેઘર કરી દેવામાં આવ્યા છે. ત્યારે સ્વાભાવિક રીતે રોજનું કમાઈને રોજ ખાનારા સામાન્ય લોકોમાં તંત્ર સામે ભારોભાર રોષની લાગણી જોવા મળી રહી છે. પહેલાં દિવસનો ડિમોલિશનનો દિવસભરનો ઘટનાક્રમ ડિમોલિશનના પ્રથમ દિવસે આશિયાના તૂટતાં મહિલાઓ રડી પડી હતીવર્ષોથી જંગલેશ્વર વિસ્તારમાં રહેતા લોકોના ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવતાં મહિલાઓ રડી પડી હતી. મોટા ભાગના લોકોને હવે ક્યાં જવું એની ચિંતા સતાવી રહી હતી. ડિમોલિશનના પહેલા દિવસની પળેપળનાં અપડેટ... મકાન પડી ગયું, ક્વાર્ટર મળ્યું નથી, વિધવા છું, ક્યાં જાઉં?, 1119 બાંધકામો પર બુલડોઝર ફેરવાયું
વડોદરા શહેરમાં સયાજીગંજ પોલીસ સ્ટેશન જૂની અદાવતને લઈને યુવક પર જીવલેણ હુમલો થયો હતો. જેમાં ચાકુ અને ધારદાર હથિયારોથી ઢોર માર મારવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડાયો હતો. આ મામલે પોલીસે યામીન, મુસો અને શિલ્પા સહિતના 4 આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી આવ્યા છે. સયાજીગંજ પોલીસ સ્ટેશન દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઇજાગ્રસ્ત સોનુ રમેશચંદ્ર શર્માએ જણાવ્યું હતું કે, 11 તારીખે મારા કાકા સાથે કંઈક વિવાદ થયો હતો. મારા પિતા પર કાકાનો ફોન આવ્યો, ત્યારે હું પણ ઘરે જ હતો, એટલે હું પણ પિતા સાથે ત્યાં ગયો. ત્યાં થોડી મારામારી થઈ હતી. હું એ લોકોને ઓળખું છું. ત્યારબાદ મામલો વધારે ગંભીર બની ગયો અને સામસામે મારામારી થઈ. એનો વિડિયો પણ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓએ ચાલાકીથી પોલીસ ચોકીમાં સમાધાન કરી લીધું. તેમણે કહ્યું કે સમાધાન કરી લો, જે થઈ ગયું તે થઈ ગયું. તેમની ગાડીને જે નુકસાન થયું હતું તેનો ખર્ચ પણ તેઓ પોતે જ ભોગવશે અને મને પણ મારું કામ કરવા કહ્યું. આ રીતે સમાધાન કરીને હું ઘરે આવ્યો. તેઓએ કહ્યું હતું કે, મને પહેલેથી જ અંદાજ હતો કે મારી સાથે કંઈક થવાનું છે, કારણ કે જ્યારે અમે પોલીસ ચોકીમાં હતા ત્યારે તેઓ મારા ફોટા પાડી રહ્યા હતા અને મને ધમકી આપી રહ્યા હતા કે તું બહુ ખરાબ જગ્યાએ ફસાઈ ગયો છે, તને ખબર નથી કે તે ક્યાં હાથ નાખ્યો છે. તેઓએ કહ્યું હતું કે, મને શિવાની પટેલ નામની યુવતીનો ફોન આવ્યો હતો. તેણે કહ્યું કે તેણે મારી પ્રોફાઇલ જોઈ છે અને મારું ફર્નિચરનું કામ તેને બહુ ગમ્યું છે, એટલે તેણે ફર્નિચરનું કામ કરાવવા માટે મને કારેલીબાગ વિસ્તારમાં મળવા બોલાવ્યો હતો. મેં પહેલા તો ના પાડી હતી કે હું વ્યસ્ત છું, પણ તેણે વારંવાર આગ્રહ કર્યો કે ભલે મોડું થાય પણ એકવાર આવીને કામ જોઈ જાવ. હું જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે મારી પર હુમલો કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં 10 ફેબ્રુઆરીના રોજ રાત્રે વડોદરા શહેરના સનફાર્મા રોડ પર ગેલેક્ષી હોસ્પિટલની બાજુમાં આવેલી લેન્ડમાર્ક ફર્નિચર હબ નામની દુકાનમાં રૂપિયાની લેતીદેતીના મામલે હિંસક દ્રશ્યો સર્જાયા હતા. 4થી 5 શખ્સોએ મળીને ફર્નિચરની દુકાનમાં ભારે તોડફોડ કરી હતી. ખુરસી સહિતની જે વસ્તુ હાથમાં આવી તેનાથી તોડફોડ કરી હતીઅને વેપારીના કપડા ફાડી નાખ્યાં હતા અને માર માર્યો હતો. આ મામલે અદાવત રાખીને ગઈકાલે રાત્રે હુમલો કરવામાં આવ્યો હતો.
સુરત મહાનગરપાલિકામાં સત્તાધીશોનો કાર્યકાળ હવે ગણતરીના દિવસોમાં જ પૂર્ણ થવા જઈ રહ્યો છે. 11 માર્ચે હાલના પદાધિકારીઓની ટર્મ પૂરી થવાની હોવાથી વહીવટી તંત્ર અને શાસકોમાં ભારે હલચલ જોવા મળી રહી છે. વિકાસના કામો અટકી ન જાય અને ફાઈલોનો ભરાવો ન થાય તે હેતુથી વહીવટી પ્રક્રિયામાં અચાનક ભારે ઝડપ આવી છે. એક જ દિવસમાં 7 સમિતિઓની બેઠક27 ફેબ્રુઆરીને શુક્રવારના રોજ મહાનગરપાલિકામાં સવારથી સાંજ સુધી બેઠકોનો દોર ચાલશે. કુલ 7 વિવિધ સમિતિઓની બેઠકોમાં 101 જેટલા કામો રજૂ કરવામાં આવશે. ટર્મ પૂરી થવાને હવે ગણતરીના દિવસો જ બાકી હોવાથી આ બેઠકો અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહી છે. સ્થાયી સમિતિની બેટકમાં 21 કામો રજૂ કરાશેઆ બેઠકોમાં સવારે 10:00 વાગ્યે ડ્રેનેજ સમિતિમાં 6 કામો, સવારે 10:30 વાગ્યે પબ્લિક ટ્રાન્સપોર્ટ સમિતિમાં 2 કામો, સવારે 11:30 વાગ્યે જાહેર બાંધકામ સમિતિમાં 20 કામો, બપોરે 12:30 વાગ્યે ટી.પી. સમિતિમાં 5 કામો, બપોરે 1:30 વાગ્યે પાણી સમિતિમાં 17 કામો, બપોરે 2:30 વાગ્યે લાઈટ એન્ડ ફાયર સમિતિમાં સૌથી વધુ 30 કામો અને છેલ્લે સાંજે 4:00 વાગ્યે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં 21 કામો રજૂ કરવામાં આવશે. ફાઈલોને મંજૂરીની પ્રક્રિયા ઝડપી કરવા કમિશનરની સૂચનાછેલ્લા ઘણા સમયથી ફાઈલો ધીમી ગતિએ ચાલતી હોવાની ફરિયાદો ઉઠતી હતી, જેના કારણે સમિતિના ચેરમેનો અને સભ્યો પણ મૂંઝવણમાં હતા. જોકે, ટર્મ પૂર્ણ થવાના આરે હોવાથી કમિશનર એમ. નાગરાજને કમર કસી છે. તેમણે આઈસીસીસી ખાતે વિવિધ વિભાગોને બોલાવીને અટકેલી ફાઈલોનો ચિતાર મેળવ્યો હતો અને મંજૂરીની પ્રક્રિયા ઝડપી બનાવવા સૂચના આપી હતી. અંતિમ સામાન્ય સભાની તૈયારીઆ તમામ સમિતિઓ દ્વારા આવતીકાલે જે કામો મંજૂર કરવામાં આવશે, તેને આખરી મંજૂરી માટે 9 માર્ચના રોજ યોજાનારી અંતિમ સામાન્ય સભામાં રજૂ કરવાની તૈયારીઓ પણ વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. નિયમ મુજબ સામાન્ય સભાના એજન્ડા પર કામો લેવા માટે એક અઠવાડિયા અગાઉ પ્રક્રિયા પૂર્ણ કરવાની હોવાથી, આવતીકાલે યોજાનારી સમિતિઓની બેઠકો અંતિમ સામાન્ય સભાના આયોજન માટે મહત્વની રહેશે.
સાબરકાંઠા જિલ્લામાં ધોરણ 10 ની બોર્ડ પરીક્ષાનો આજથી 42 કેન્દ્રો પર પ્રારંભ થયો છે. હિંમતનગરના ત્રિવેણી વિદ્યાલય ખાતે જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંહ સાદુ અને જિલ્લા શિક્ષણાધિકારી મીતાબેન ગઢવીની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જિલ્લામાં કુલ 20,754 વિદ્યાર્થીઓમાંથી 20,047 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા, જ્યારે 707 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. વિદ્યાર્થીઓને કંકુ તિલક, ફૂલ, ચોકલેટ અને પેન આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે સ્કૂલના શંભુભાઈ ભટ્ટ સહિત શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે પ્રથમ પેપર ભાષાનું હતું. હિંમતનગરની હિંમત હાઈસ્કૂલમાં યુવા જિલ્લા, તાલુકા, શહેર અને યુવા ભાજપાના હોદ્દેદારોએ પણ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો હતો.
આણંદ જિલ્લામાં ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ આણંદ હાઈસ્કૂલ ખાતેના પરીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. કલેક્ટરે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી અને મોં મીઠું કરાવી આવકાર્યા હતા. તેમણે પરીક્ષાર્થીઓને તણાવમુક્ત રહી શાંતિપૂર્ણ રીતે પેપર લખવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે કલેક્ટરે જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં ધોરણ-10 અને 12ના કુલ 50,966 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની સુવિધા માટે પીવાના શુદ્ધ પાણી અને યોગ્ય બેઠક વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષાલક્ષી કોઈ પણ માર્ગદર્શન માટે વાલીઓ કે વિદ્યાર્થીઓ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે શરૂ કરાયેલા કંટ્રોલરૂમ નંબર 02692-264153 પર સંપર્ક કરી શકે છે. સમગ્ર જિલ્લાના પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તમામ પરીક્ષા પ્રવૃત્તિઓ સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ ચાલી રહી છે. કલેક્ટરની મુલાકાત સમયે જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ. અર્ચના પ્રજાપતિ અને એજ્યુકેશન ઇન્સ્પેક્ટર હેમંત કાછિયા પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
એસ.પી.રીંગ પર આવેલી હોટલ હિલ્લોક પાસે ડિવાઈડર કટ બંધ કરી દેવા મામલે એકત્રિત થયેલા ટોળામાં ચોર પણ ઘુસી આવ્યા હતા.લોકોનું ટોળુ જોઈને આવેલા એક વકીલના ખીસામાંથી ગઠીયાએ મોબાઈલ ચોરી લીધો હતો.વકીલે આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. મામલો જાણવા ગયેલા વકીલના ખિસ્સામાંથી મોબાઈલની ચોરીઝુંડાલ ખાતે આવેલા તુલસી સ્ટેટસમાં રહેતા જસ્મીન દવેએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીની ફરિયાદ કરી છે. જસ્મીન દવે સંયુક્ત પરિવારમાં રહે છે અને ધોળકા મામલતદાર કચેરીમાં વકીલ તરીકે ફરજ બજાવે છે. 26 દિવસ પહેલા જસ્મીન દવેએ મોબાઈલ ખરીદયો હતો જે ચોરી થઈ ગયો છે. 21 ફેબ્રુઆરીએ જસ્મીન દવે ઘરે ચાલતા ચાલતા જઈ રહ્યા હતા ત્યારે હિલ્લોક હોટલ પાસે કેટલુક ટોળુ ઉભુ હતું અને રસ્તો બંધ કરી દીધો હતો. જસ્મીન દવેએ ભીડમાં એન્ટ્રી મારી હતી અને બબાલ શું થઈ છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. વકીલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીદરમિયાનમાં જસ્મીન દવેના ખીસામાંથી કોઈએ મોબાઈલ ફોન ચોરી લીધો હતો. જસ્મીન દવે ટોળાની બહાર આવ્યા ત્યારે તેમનો મોબાઈલ ફોન ગાયબ હતો જેથી તેમને શોધવાનો પ્રયાસ કર્યો હતો. રાહદારીનો મોબાઈલ લઈને જસ્મીને તેમના મોબાઈલ પર રિંગ મારી હતી પરંતુ કોઈ ફોન ઉપાડ્યો નહી અને ત્યારબાદ એકા એક ફોન સ્વીચઓફ થઈ ગયો હતો.ટોળામાં ચોર ઘુસ્યો હતો અને જસ્મીન દવેના ખીસામાંથી મોબાઈલ ફોનની ચોરી કરીને જતો રહ્યો હતો. જસ્મીન દવેએ આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
ટ્રેડ ડીલ મુદ્દે રાજ્ય વિધાનસભામાં આજે ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર “ટ્રમ્પના દબાણમાં ટ્રેડ ડીલ કરાઈ” હોવાનો આક્ષેપ કરતાં જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. “દેશના હિત સાથે સમાધાન નહીં ચાલે” અને “ટ્રેડ ડીલ બંધ કરો” જેવા નારા લગાવી વિરોધ પક્ષે સત્ર પહેલા વિરોધ કર્યો હતો. ઉદ્યોગકારો, નાના વેપારી અને ખેડૂતો માટે ટ્રેડ ડીલ નુકસાનકારક સાબિત થઈ શકે- કોંગ્રેસકોંગ્રેસના ધારાસભ્યોએ દાવો કર્યો કે આ ટ્રેડ ડીલ રાજ્યના ઉદ્યોગકારો, ખેડૂતો અને નાના વેપારીઓ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેમણે સરકાર પાસે આ ડીલ અંગે સંપૂર્ણ વિગતો જાહેર કરવાની માંગ કરી અને પારદર્શિતા રાખવા દબાણ બનાવ્યું હતું. આજે વિધાનસભા સત્ર દરમિયાન શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક-માધ્યમિક તથા પ્રૌઢ શિક્ષણ, અન્ન અને નાગરિક પુરવઠા, ગ્રાહક સુરક્ષા સહિતના મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા હાથ ધરાશે. આ મુદ્દાઓને લઈને પણ સત્રમાં ઉગ્ર ચર્ચા થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.
ભરૂચના વેજલપુરમાં હિન્દુ સંમેલન યોજાયું:સંતોએ પરિવાર મિલન અને સંસ્કારનું માર્ગદર્શન આપ્યું
ભરૂચ શહેરના વેજલપુર પારસીવાડ અને આસપાસના વિસ્તારોમાં 'પરિવાર મિલન'ના ઉદ્દેશ્ય સાથે એક હિન્દુ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં સંત મુક્તાનંદજી અને નર્મદા કોલેજના પ્રોફેસર ડૉ. હરીશભાઈ પટેલે ઉપસ્થિત રહી સમાજને સંગઠિત અને સંસ્કારી બનવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સંમેલનમાં આશીર્વચન આપતા સંત મુક્તાનંદજીએ જણાવ્યું હતું કે, આધુનિક સમયમાં પરિવારોમાં દેવી-દેવતાઓ અને સાધુ-સંતોના ફોટાને બદલે અન્ય ચીજવસ્તુઓએ સ્થાન લીધું છે, જે ચિંતાનો વિષય છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે જો પરિવારના વડીલો નિત્ય પૂજા-પાઠ અને મંદિર દર્શનનો આગ્રહ રાખશે, તો જ બાળકોમાં સંસ્કારોનું સિંચન થશે. સંત મુક્તાનંદજીએ કુટુંબ પ્રથાને જાળવી રાખવા, સ્વદેશી ભાષાના સંરક્ષણ અને પર્યાવરણના રક્ષણ માટે પણ ભાર મૂક્યો હતો. કાર્યક્રમની શરૂઆત મુકેશ મિસ્ત્રી દ્વારા હનુમાન ચાલીસાના ગાનથી થઈ હતી. ત્યારબાદ સ્વાધ્યાય પરિવારના પ્રકાશ મિસ્ત્રી અને તેમની ટીમે સામાજિક જાગૃતિ લાવતું નાટક રજૂ કર્યું હતું. નાની બાળકી શ્રેયા જોષી દ્વારા રજૂ કરાયેલું કાવ્ય પઠન સંમેલનનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું, જેને ઉપસ્થિત સૌ વડીલોએ બિરદાવ્યું હતું. કાર્યક્રમના સંયોજક રાજેશ મિસ્ત્રીએ સંઘની વિચારધારા અને સંગઠનના મહત્વ વિશે ચર્ચા કરી. ચંદ્રેશ મિસ્ત્રીએ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું, જ્યારે ઉમેશભાઈ (લાલાભાઈ) એ આયોજનમાં મહત્વનો સહકાર આપ્યો હતો. સંમેલનના અંતે, તમામ ઉપસ્થિતોએ સામાજિક સમરસતા જાળવવા અને હિન્દુ સમાજને વધુ સંગઠિત બનાવવાનો સામૂહિક સંકલ્પ કર્યો હતો. આ કાર્યક્રમમાં કોળી પટેલ સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં વસાહતીઓ હાજર રહ્યા હતા.
ભાવનગર નજીક આવેલા અધેવાડા ગામની અવાવરું જગ્યામાં બાવળની કાંટમાંથી શંકાસ્પદ હાલતમાં એક યુવાનનો મૃતદેહ મળતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી, ડોગ સ્કોવડ, એફએસએલ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, તથા યુવાનને માથાના ભાગે થયેલી ઈજાઓને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતકની ઓળખ કરવામાં આવીઆ બનાવ અંગે સીટી ડીવાયએસપી આર.આર.સિંધાલે જણાવ્યું હતું કે, ભરતનગર પોલીસ સ્ટેશનના અધેવાડા વિસ્તારમાં જાળી જાખરા પાસે એક દીવાલ છે. જે સ્થળે એક વણશોધાયેલી લાશ મળી છે. પોલીસ દ્વારા લાશની ઓળખવિધિ કરતા આ લાશ મથુરભાઈ પરમાર, અંદાજિત ઉ.વ. 40, રહે અધેવાડાની હોવાનું ખુલ્યું છે. પોલીસ દ્વારા આ લાશનો કબ્જો લેવામાં આવ્યો છે. અને સાથે બનાવ સ્થળે એફએસએલ અધિકારી અને ડોગ સ્કોવડ દ્વારા બનાવ વિસ્તારને ટ્રેક કરવામાં આવ્યો છે. હાલ ઇન્કવેસ્ટ ભરી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. PM રિપોર્ટમાં મોતનું કારણ બહાર આવી શકેવધુમાં જણાવ્યું હતું કે, એફએસએલ અધિકારીનું કહેવાનું છે કે જે રીતે લાશ પડેલી છે તે જગ્યા એ કોઈ બ્લડ છે નહીં, અને બનાવ સ્થળે પાસે દીવાલ છે અને નજીક થી બાઈક મળેલું છે. ત્યારે અલગ-અલગ તર્ક ચાલે છે. પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે. પીએમ રિપોર્ટમાં ઇજા થયેલી છે કે, કેમ તે રિપોર્ટમાં સામે આવશે. ત્યારબાદ આ બનાવ એક્સીડેન્ટલ ડેથ છે કે મર્ડર છે તે ખુલવા પામશે.
રાજ્યમાં ગૌવંશની સુરક્ષાના દાવાઓ વચ્ચે વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સરકારે સત્તાવાર સ્વીકાર કર્યો છે કે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાંથી કુલ 43,604 કિલો ગૌમાંસ અને 1272 કિલો ગૌવંશનું માંસ ઝડપાયું છે. બીજી તરફ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પશુચોર ટોળકીઓ બેફામ બની લક્ઝુરિયસ કારમાં પશુઓની ચોરી કરી રહી હોવાની ઘટનાઓએ માઝા મૂકી છે. ગઈકાલે મધરાતે અડાલજ પાસેના શનિદેવ મંદિર સામે લક્ઝુરિયસ કારમાં આવેલી ગેંગ વાછરડાની ચોરી કરી ફરાર થઈ જતા સીસીટીવીમાં કેદ થયા છે. લક્ઝુરિયસ કારમાં પશુઓના ચોરીની ઘટનાવિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સરકારે સત્તાવાર સ્વીકાર કર્યો છે કે, છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાંથી કુલ 43,604 કિલો ગૌમાંસ અને 1272 કિલો ગૌવંશનું માંસ ઝડપાયું છે. આ ગુનાઓમાં અત્યાર સુધીમાં 1235 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 107 જેટલા શખ્સો હજુ પણ પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પશુચોર ટોળકીઓ બેફામ બની લક્ઝુરિયસ કારમાં પશુઓની ચોરી કરી રહી હોવાની ઘટનાઓએ સ્થાનિકોમાં ભારે રોષ જગાવ્યો છે. થોડા દિવસ અગાઉ બનેલી ઘટનામાં 6 પશુઓના મોત થયા હતાથોડા દિવસો અગાઉ ગાંધીનગર-મહેસાણા હાઈવે પર પશુઓની ગેરકાયદેસર હેરાફેરી કરી રહેલું એક પિકઅપ ડાલું અચાનક પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આ ડાલામાં લાકડાના પાટિયા વડે બે માળ બનાવીને 27 જેટલા પાડા-પાડીઓને અત્યંત ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવામાં આવી રહ્યા હતા. અકસ્માતમાં 6 અબોલ પશુઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. આ બનાવ બાદ ગૌરક્ષકો અને વાહનના ચાલક વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું, જેના પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. તસ્કરોએ વાછરડાઓને ગાડીમાં ભરવાનું શરૂ કર્યુંઆ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં પશુચોર ગેંગે ફરી એકવાર આ જ વિસ્તારમાં પોલીસને પડકાર ફેંક્યો છે. અડાલજ શનિદેવ મંદિરની સામે ગઈકાલે રાત્રિના સમયે આરામ કરી રહેલી ગાયો અને વાછરડાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. એક સફેદ કલરની લક્ઝુરિયસ કારમાં આવેલા તસ્કરોએ વાછરડાઓને ગાડીમાં ભરવાનું શરૂ કર્યું હતું. જેના લીઘે પશુઓના કરુણ આક્રંદ અને ચીસો સાંભળીને મંદિરના પૂજારી જાગી ગયા હતા. તસ્કરો એક વાછરડું કારમાં ભરી નાસી છૂટવામાં સફળ રહ્યાંઆ દ્રશ્ય જોઈ પૂજારીએ બૂમાબૂમ કરતા તસ્કરો ગભરાઈ ગયા હતા, પરંતુ એક વાછરડું કારમાં ભરી પૂરપાટ ઝડપે નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. ત્યારે પાટનગરના ઉંબરે જ પશુચોરો લક્ઝુરિયસ કાર લઈને પશુઓની ચોરી કરવા નીકળતા હોવાની ઘટનાથી હિન્દુ સંગઠનો અને સ્થાનિક રહીશોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. પશુઓની તસ્કરી માટે જે પ્રકારે લક્ઝુરિયસ વાહનોનો ઉપયોગ થઈ રહ્યો છે તે જોતા આ કોઈ મોટી ગેંગ હોવાની આશંકા સેવાઈ રહી છે. આ સમગ્ર મામલે અડાલજ પોલીસ મથકે જાણ કરવામાં આવી છે.
ભારત-ગ્રીસ-ઈઝરાયલની 'ત્રિશક્તિ' તૈયાર: પાકિસ્તાન અને તુર્કીયેના 'નાપાક ગઠબંધન'માં ફફડાટ!
India Greece Relations : ભારત અને ગ્રીસ વચ્ચેના સંબંધો લગભગ 2,500 વર્ષ જૂના છે, પરંતુ હાલના સમયમાં બંને દેશોના સામરિક સંબંધોમાં એક નવી ઉર્જા જોવા મળી રહી છે. ખાસ કરીને સંરક્ષણ ક્ષેત્રે બંને દેશો વચ્ચે જે નવી જુગલબંધી થઈ રહી છે, તે પ્રાદેશિક જીઓપોલિટિક્સમાં નવા સમીકરણો સર્જી રહી છે. આ ગઠબંધનમાં ઇઝરાયેલનો એંગલ પણ ઉમેરાતા આ ત્રણેય દેશો 'ત્રિશક્તિ' તરીકે ઉભરી રહ્યા છે. સંબંધોમાં ગરમાવો: તુર્કી-પાકિસ્તાન માટે ખતરાની ઘંટી 'ઓપરેશન સિંદૂર' દરમિયાન ભારતને તુર્કીના રૂપમાં એક નવા પડકારનો સામનો કરવો પડ્યો હતો.
આજથી સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ગાંધીનગર જિલ્લામાં પરીક્ષાર્થીઓનો આત્મવિશ્વાસ વધારવા અને તેમને તણાવમુક્ત વાતાવરણ પૂરું પાડવા માટે રાજ્યના મંત્રીઓ મેદાનમાં ઉતર્યા હતા. ગાંધીનગરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર મંત્રીઓએ રૂબરૂ પહોંચી વિદ્યાર્થીઓને પરીક્ષા માટેની શુભકામનાઓ પાઠવી હતી. રીવાબા જાડેજાએ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવ્યુંશિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજાએ ગાંધીનગરની એમ. બી. પટેલ ઇંગ્લીશ મીડિયમ હાઇસ્કૂલની મુલાકાત લીધી હતી. તેમણે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી અને મોં મીઠું કરાવીને પરીક્ષામાં સફળતા માટે આશીર્વાદ આપ્યા હતા. મંત્રીએ વિદ્યાર્થીઓ સાથે હળવી વાતચીત કરી તેમને કોઈપણ પ્રકારના ગભરાટ વગર પ્રશ્નપત્ર લખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ સ્વામીનારાયણ ગુરુકુળમાં વિદ્યાર્થીઓને આવકાર્યાબીજી તરફ રાજ્ય મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ સ્વામીનારાયણ ગુરૂકુલ પરીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમણે વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપીને આવકાર્યા હતા. મંત્રીએ જણાવ્યું હતું કે, પરીક્ષા એ જીવનનું એક પડાવ છે અને શાંત ચિત્તે આપેલી મહેનત ચોક્કસ રંગ લાવશે. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીઓ અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ સિવાય ગાંધીનગરના ધારાસભ્યો, મેયર અને કલેક્ટર સહિતના મહાનુભાવો પણ અલગ-અલગ કેન્દ્રો પર પહોંચ્યા હતા. પરીક્ષા કેન્દ્રોને ફૂલોથી શણગારવામાં આવ્યા હતા અને પરીક્ષાર્થીઓનું સ્વાગત એક ઉત્સવની જેમ કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓને બેઠક વ્યવસ્થા કે અન્ય કોઈ ભૌતિક સુવિધામાં મુશ્કેલી ન પડે. જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે કસોટીગાંધીનગર જિલ્લાના 45 હજારથી વધુ વિદ્યાર્થીઓએ આજે પ્રથમ પેપર શરૂ થયું છે. ત્યારે સીસીટીવી કેમેરાની દેખરેખ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા પ્રક્રિયા અત્યંત શાંતિપૂર્ણ રીતે શરૂ થઈ છે. પેપર ટ્રેકિંગ એપ્લિકેશન અને ફ્લાઈંગ સ્ક્વોડની વોચ છતાં, કેન્દ્રો પર મંત્રીઓની હાજરીએ વિદ્યાર્થીઓના ચહેરા પર સ્મિત લાવી દીધું હતું.
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખાંભડા ગામમાં દીપડાએ એક વૃદ્ધ ખેડૂત પર હુમલો કર્યો છે. સીમ વિસ્તારમાં ખેતીકામ કરી રહેલા 73 વર્ષીય ખેડૂત પર દીપડાએ અચાનક હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, ખાંભડા ગામના 73 વર્ષીય નટુભાઈ પટેલ આજે તેમના ખેતરમાં કામ કરી રહ્યા હતા. તે સમયે ઝાડીઓમાં છુપાયેલા દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો. દીપડાએ નટુભાઈના પેટ અને થાપાના ભાગે પંજા માર્યા હતા, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. નટુભાઈએ બૂમો પાડતા દીપડો ત્યાંથી નાસી છૂટ્યો હતો. હુમલા બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્ત નટુભાઈને તાત્કાલિક ચીખલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તબીબો દ્વારા તેમની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. સ્થાનિકોના મતે, ખાંભડાની ભવાની વડ પાસે નદી કિનારે આવેલા સીમ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની અવરજવર વધી છે. એક સપ્તાહ અગાઉ પણ આ વિસ્તારમાં બાઈક પર સવાર ત્રણ યુવકો પર દીપડાએ હુમલો કર્યો હતો. દીપડો પશુઓનું મારણ કરતો હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. આ હુમલાની જાણ વન વિભાગને કરવામાં આવી છે. ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ તાત્કાલિક આ વિસ્તારમાં પાંજરું ગોઠવી દીપડાને પકડવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવા બનાવો અટકાવી શકાય.
હરિયાણાના પાણીપતમાં એક કર્મચારીના મોતના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તેની ઘેરી અસર સુરતના હજીરા સ્થિત AM/NS (આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ) કંપનીમાં જોવા મળી છે, જ્યાં SMP-3 પ્લાન્ટના પ્રોજેક્ટ સાઈટ પર કાર્યરત મોટી સંખ્યામાં કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓએ અચાનક કામ રોકીને ઉગ્ર હોબાળો મચાવ્યો હતો. પાણીપતની ઘટનાના આક્રોશ વચ્ચે હજીરાના પ્લાન્ટમાં પણ કર્મચારીઓએ એકઠા થઈ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે અને પોતાના પડતર પ્રશ્નો તેમજ પગાર વધારા જેવી વિવિધ માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન તેજ કર્યું છે. આ સ્થિતિને થાળે પાડવા અને કર્મચારીઓને સમજાવવા માટે કંપનીના ઉચ્ચ અધિકારીઓ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જોકે મોટી સંખ્યામાં શ્રમિકોના આકસ્મિક આક્રોશને પગલે પ્લાન્ટમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સુત્રાપાડા મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો:LCB એ 2.33 લાખના મુદ્દામાલ સાથે બે આરોપી ઝડપ્યા
ગીર સોમનાથ પોલીસે સુત્રાપાડા તાલુકાના ગોરખમઢી ગામે અંબે માતાજીના મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. એલસીબી ટીમે બે આરોપીઓને રૂ. 2.33 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આ ચોરી 21 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે 8 થી સાંજે 5 વાગ્યા દરમિયાન થઈ હતી. અજાણ્યા ઇસમોએ મંદિરનું તાળું ખોલી પ્રવેશ કરી સોનાના બે ઝુમર (રૂ. 80,000) અને એક સોનાની નથડી (રૂ. 30,000) મળી કુલ રૂ. 1,10,000નો મુદ્દામાલ ચોરી કરી ફરાર થયા હતા. આ અંગે સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો. બાતમીના આધારે, પોલીસે વેરાવળ બંદર રોડ વિસ્તારમાંથી અતુલભાઈ પ્રવિણભાઈ ધકાણ (ઉંમર 44, રહે. નિકોલ, અમદાવાદ) અને ભરતભાઈ પ્રવિણભાઈ સોની (ઉંમર 47, રહે. નરોડા, અમદાવાદ) નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી સોનાનું મોટું છતર (રૂ. 50,000), સોનાનું નાનું છતર (રૂ. 30,000), સોનાની નથડી (રૂ. 30,000), બે મોબાઈલ ફોન (રૂ. 20,000), રોકડા રૂ. 3,320 અને એક મારુતિ સુઝુકી સેલેરિયો કાર (જીજે-24-બીઇ-3218) (રૂ. 1,00,000) સહિત કુલ રૂ. 2,33,320નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પૂછપરછ દરમિયાન, આરોપીઓએ ખેડા, અમરેલી, અમદાવાદ, ધંધુકા, ડભોડા, બાવળા, કલોલ અને બગોદરા સહિતના વિસ્તારોમાં આવેલા અન્ય મંદિરોમાંથી પણ છતર અને નથડીની ચોરી કર્યાની કબુલાત કરી છે. પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો અન્ય જિલ્લાઓમાં આ આરોપીઓ અંગે કોઈ ગુન્હાની જરૂરિયાત હોય, તો ગીર સોમનાથ ક્રાઈમ બ્રાન્ચ અથવા સુત્રાપાડા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે.
ભારતે ચાબહાર પોર્ટને ફંડ ન આપતા ઈરાને વ્યક્ત કરી ચિંતા, પાકિસ્તાનને પછાડતો માસ્ટર પ્લાન જોખમમાં?
Chabahar port : ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ ભારતના નવા બજેટમાં ચાબહાર પોર્ટ માટે કોઈ ફંડિંગ ન રાખવા બદલ નિરાશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આ નિર્ણય ભારત અને ઈરાન બંને માટે નિરાશાજનક છે. જોકે, અરાગચીની ટિપ્પણી પરથી જણાય છે કે, ઈરાન હજુ પણ ભારત સાથે કામ કરવા ઈચ્છે છે અને આ પોર્ટના પ્રોજેક્ટને આગળ વધારવાની આશા રાખે છે. 'ગોલ્ડન ગેટ' માટે બજેટ ન આપવું નિરાશાજનક: અરાગચી એક ટીવી ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે અરાગચીને પૂછવામાં આવ્યું કે શું ભારતના આ વર્ષના બજેટમાં ચાબહારનો સમાવેશ ન કરવાથી તેઓ નિરાશ છે, ત્યારે તેમણે જવાબ આપ્યો, મને લાગે છે કે આ ઈરાન અને ભારત બંને માટે નિરાશાજનક છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ-10 અને ધોરણ-12ની વાર્ષિક પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયો છે. દાહોદ જિલ્લામાં આ પરીક્ષા સંપૂર્ણ પારદર્શક, શાંતિપૂર્ણ અને ગેરરીતિ મુક્ત વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે અને જિલ્લા શિક્ષણ અધિકારી એસ.એલ. દામાના સીધા માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. આ વર્ષે જિલ્લાના કુલ 62,236 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં બેસવાના છે, જેના માટે જિલ્લાના પાંચ ઝોનમાં વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. આજથી શરૂ થતો આ જ્ઞાનનો ઉત્સવ 18 માર્ચ સુધી ચાલશે, જેમાં તંત્ર દ્વારા વિદ્યાર્થીઓના સ્વાગતથી લઈને સુરક્ષા સુધીના તમામ પાસાઓ પર ઝીણવટભર્યું ધ્યાન આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓનું કુમકુમ તિલકથી ઉષ્માભર્યું સ્વાગત કરાયુપરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા અને તેમનો ડર દૂર કરવા માટે વિશેષ આયોજન કરવામા આવ્યુ હતું, દરેક પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને ગુલાબના ફૂલ આપીને સ્વાગત કરવામા આવ્યુ હતુ. જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ ભયમુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપે તે અમારી પ્રાથમિકતા છે. વાલીઓએ પણ બાળકો પર દબાણ ન લાવવા અને તેમને પ્રોત્સાહિત કરવા અપીલ કરવામાં આવી છે. પાંચ ઝોન અને 213 બિલ્ડીંગોમાં પરીક્ષાનું આયોજનદાહોદ જિલ્લામાં પરીક્ષાની કામગીરીને સુચારુ રીતે ચલાવવા માટે ભૌગોલિક દ્રષ્ટિએ કુલ 5 ઝોન બનાવવામાં આવ્યા છે. જેમાં ધોરણ-10 (SSC) માટે દાહોદ, લીમખેડા અને ઝાલોદ ખાતે ઝોન ઓફિસ કાર્યરત રહેશે. જ્યારે ધોરણ-12 (HSC) માટે દાહોદ અને લીમખેડા એમ બે મુખ્ય ઝોન બનાવવામાં આવ્યા છે. જિલ્લામાં કુલ 63 પરીક્ષા કેન્દ્રો નક્કી કરાયા છે, જેમાં કુલ 213 બિલ્ડીંગોમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ તમામ કેન્દ્રો પર પરીક્ષાને લગતી તમામ પાયાની જરૂરિયાતો જેવી કે પીવાનું શુદ્ધ પાણી, બેઠક વ્યવસ્થા અને પૂરતા પ્રકાશની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવી છે. SSC અને HSC ના 62,236 પરીક્ષાર્થીઓ આપશે પરીક્ષાજિલ્લામાં વિદ્યાર્થીઓની સંખ્યા પર નજર કરીએ તો આ વખતે પરીક્ષાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ધોરણ-10 માં કુલ 37 કેન્દ્રોની 121 બિલ્ડીંગોમાં 1,187 બ્લોક પર 35,250 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 23 કેન્દ્રોની 81 બિલ્ડીંગોમાં 835 બ્લોક પર 24,947 વિદ્યાર્થીઓ નોંધાયા છે. વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો 03 કેન્દ્રોની 07 બિલ્ડીંગોમાં 104 બ્લોક પર 2,039 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આમ, સમગ્ર જિલ્લામાં કુલ 62,236 પરીક્ષાર્થીઓ માટે તંત્ર દ્વારા લોખંડી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ગેરરીતિ ડામવા 'મિક્સ સ્ટાફ' અને સ્થળ સંચાલક બદલવાનો નવો પ્રયોગપરીક્ષામાં પારદર્શિતા લાવવા માટે આ વર્ષે દાહોદ જિલ્લામાં એક વિશિષ્ટ પ્રયોગ કરવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારી એસ.એલ. દામાએ જણાવ્યું હતું કે, અગાઉ જે-તે શાળાના આચાર્ય પોતાની જ શાળામાં સ્થળ સંચાલક તરીકે ફરજ બજાવતા હતા, પરંતુ આ પ્રથામાં ફેરફાર કરીને હવે કોઈપણ આચાર્ય પોતાની સ્કૂલમાં સંચાલક તરીકે રહી શકશે નહીં. તેમને અન્ય બિલ્ડીંગમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત, અડધા સ્ટાફની પણ અરસ-પરસ બદલી કરવામાં આવી છે, જેથી કોઈ સ્થાનિક સાંઠગાંઠ કે ગેરરીતિ થવાની શક્યતા ન રહે અને પરીક્ષાની ગરિમા જળવાઈ રહે. સ્માર્ટ સિટી કંટ્રોલ રૂમ અને પાટા એપ્લિકેશનનો ઉપયોગઆધુનિક યુગમાં પરીક્ષાની સુરક્ષા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે. દાહોદમાં સ્માર્ટ સિટી બિલ્ડીંગ ખાતે સેન્ટ્રલ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાંથી તમામ 213 બિલ્ડીંગોનું ઓનલાઇન મોનિટરિંગ થશે. આ ઉપરાંત, બોર્ડના પ્રશ્નપત્રોની સુરક્ષા માટે 'પાટા' (PATA) એપ્લિકેશનનો ઉપયોગ કરાશે. પ્રશ્નપત્રો જ્યારે ઝોન કચેરીથી કેન્દ્ર પર પહોંચે, ત્યારે તેના ફોટા પાડીને આ એપ્લિકેશન પર અપલોડ કરવાના રહેશે, જેનાથી દરેક હિલચાલ પર બોર્ડની સીધી નજર રહેશે. સંવેદનશીલ કેન્દ્રો પર SRP અને પોલીસનો ચુસ્ત બંદોબસ્તપરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ વિભાગ દ્વારા સજ્જડ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના તમામ કેન્દ્રો પર પૂરતો પોલીસ કાફલો તૈનાત રહેશે, જ્યારે સંવેદનશીલ ગણાતા કેન્દ્રો પર SRP ના જવાનોની ટુકડીઓ ખડેપગે રહેશે. વહીવટી તંત્રના વર્ગ-1 અને વર્ગ-2 ના 39 જેટલા ઉચ્ચ અધિકારીઓને ખાસ ઓબ્ઝર્વર તરીકે નિમણૂક આપવામાં આવી છે, જેઓ સતત કેન્દ્રોનું નિરીક્ષણ કરશે અને કોઈ પણ અનિચ્છનીય ઘટના બનતા અટકાવશે. કલમ 163 હેઠળ પ્રતિબંધાત્મક જાહેરનામાની કડક અમલવારીપરીક્ષાની શાંતિમાં ખલેલ ન પહોંચે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કડક જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની ત્રિજ્યામાં તમામ ઝેરોક્ષ મશીનો બંધ રાખવા આદેશ અપાયો છે. આ ઉપરાંત, કેન્દ્રની આસપાસ લાઉડ સ્પીકર કે ડીજે વગાડવા પર પ્રતિબંધ છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ કેન્દ્રોની બહાર બિનઅધિકૃત વ્યક્તિઓના ભેગા થવા પર મનાઈ છે. આ નિયમોનો ભંગ કરનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. એસ.ટી. નિગમ દ્વારા વધારાની બસોની સુવિધાછેવાડાના અને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં તકલીફ ન પડે તે માટે એસ.ટી. વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રૂટ પર વધારાની બસો દોડાવવામાં આવશે અને જો કોઈ કારણોસર બસ બંધ પડે, તો તાત્કાલિક વૈકલ્પિક બસ મોકલવા માટે સ્ટેન્ડબાય વ્યવસ્થા રખાઈ છે. જિલ્લા કલેક્ટરે એસ.ટી. વિભાગના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે કોઈપણ વિદ્યાર્થી વાહનની સુવિધાના અભાવે પરીક્ષાથી વંચિત ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવું. આરોગ્ય વિભાગની ટીમો અને એમ્બ્યુલન્સ તૈનાતપરીક્ષાના તણાવમાં ઘણીવાર વિદ્યાર્થીઓની તબિયત લથડતી હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જિલ્લાના તમામ 213 પરીક્ષા કેન્દ્રો પર આરોગ્ય વિભાગના કર્મચારીઓની ટીમો મુકવામાં આવી છે. કોઈપણ વિદ્યાર્થીને ગભરામણ કે અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા જણાય તો તાત્કાલિક પ્રાથમિક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા છે. ઇમરજન્સી સેવાઓ માટે એમ્બ્યુલન્સને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. અવિરત વીજ પુરવઠો પૂરો પાડવા MGVCLને સૂચનાપરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને ગરમી કે પ્રકાશની તકલીફ ન પડે અને CCTV કેમેરા સતત ચાલુ રહે તે હેતુથી MGVCL ના અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે. પરીક્ષાના સમય દરમિયાન કોઈપણ કેન્દ્ર પર વીજ કાપ ન આવે તે માટે વીજ કંપનીના ટેકનિકલ સ્ટાફને પણ તૈયાર રાખવામાં આવ્યો છે. વીજ પુરવઠો ખોરવાય નહીં તેની તકેદારી રાખવા માટે ખાસ પેટ્રોલિંગ પણ કરવામાં આવશે. વિષય શિક્ષકોને પરીક્ષા ફરજમાંથી મુક્તિપરીક્ષામાં પારદર્શિતા જાળવવા માટે શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે કે જે દિવસે જે વિષયનું પેપર હોય, તે વિષયના શિક્ષકને તે દિવસે પરીક્ષાની કોઈપણ પ્રકારની ફરજમાં રાખવામાં આવશે નહીં. આ ઉપરાંત, પરીક્ષા કેન્દ્ર પર ફરજ બજાવતા તમામ કર્મચારીઓ માટે ઓળખપત્ર ફરજિયાત કરવામાં આવ્યું છે. ઓળખપત્ર વગરના કોઈપણ વ્યક્તિને બિલ્ડીંગમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં, જેનું પાલન કરાવવાની જવાબદારી સ્થળ સંચાલકોને સોંપાઈ છે. ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અને પ્રતિબંધિત વસ્તુઓ પર પ્રતિબંધવિદ્યાર્થીઓ માટે બોર્ડ દ્વારા કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે. પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, ડિજિટલ કેલ્ક્યુલેટર કે અન્ય કોઈપણ પ્રકારના વિજાણું યંત્રો લઈ જવા ગેરકાયદેસર છે. વિદ્યાર્થીઓએ પોતાની સાથે માત્ર હોલ ટિકિટ અને પેન-કંપાસ જેવી જરૂરી વસ્તુઓ જ રાખવી. જો કોઈ વિદ્યાર્થી ભૂલથી પણ પ્રતિબંધિત વસ્તુ સાથે પકડાશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેને પરીક્ષામાંથી બાકાત કરવામાં આવશે. અફવાઓથી સાવધ રહેવા અને કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલસોશિયલ મીડિયામાં વહેતી થતી પેપર લીક કે અન્ય નકારાત્મક અફવાઓથી દૂર રહેવા જિલ્લા શિક્ષણ અધિકારીએ વાલીઓ અને વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો છે. જો કોઈને પરીક્ષાને લગતી કોઈ પણ ફરિયાદ કે સાચી માહિતીની જરૂર હોય, તો જિલ્લા શિક્ષણ અધિકારીના મોબાઈલ નંબર 9909970224 પર સંપર્ક કરી શકાય છે. મીડિયાને પણ વિનંતી કરવામાં આવી છે કે તેઓ સમાચારોની ચોક્કસ ખરાઈ કર્યા બાદ જ તેને પ્રસિદ્ધ કરે જેથી લોકોમાં ભ્રમ ન ફેલાય. નાગરિકોને માનવીય અભિગમ અપનાવવા શિક્ષણ અધિકારીની અપીલઅંતમાં જિલ્લા શિક્ષણ અધિકારી એસ.એલ. દામાએ જાહેર જનતાને અપીલ કરી હતી કે, જો કોઈ વિદ્યાર્થી પરીક્ષા કેન્દ્ર પર પહોંચવામાં મુશ્કેલી અનુભવતો હોય અથવા વાહનની તકલીફમાં હોય, તો તેને મદદ કરીને તેના કેન્દ્ર સુધી પહોંચાડવા માટે માનવીય અભિગમ દાખવવો. આ એક સામાજિક જવાબદારી છે અને સૌના સહકારથી દાહોદ જિલ્લો પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર વહીવટી તંત્ર આવતીકાલની પરીક્ષા માટે સજ્જ છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજથી રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે. પંચમહાલ જિલ્લામાં 46 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષાના પ્રથમ દિવસે પંચમહાલના કેન્દ્રો પર સવારથી જ વિદ્યાર્થીઓ અને વાલીઓની ભીડ જોવા મળી હતી. વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર નહીં, પરંતુ ઉત્સાહ અને ઉમંગનો માહોલ હતો. જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર શાળા સંચાલકો અને વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓનું ફૂલ અને મીઠાઈ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પહેલનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારવાનો અને પરીક્ષાનો ભય દૂર કરવાનો હતો. પરીક્ષા શાંતિપૂર્ણ અને ગેરરીતિમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તમામ સંવેદનશીલ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા અને સ્પેશિયલ સ્ક્વોડ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. પ્રથમ પેપર આપ્યા બાદ વિદ્યાર્થીઓના ચહેરા પર સંતોષ જોવા મળ્યો હતો. વાલીઓ પણ પોતાના બાળકોની સફળતા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
ગીર સોમનાથમાં ધો. 10-12 બોર્ડ પરીક્ષા શરૂ:29,511 વિદ્યાર્થીઓ ઉત્સાહભેર પરીક્ષામાં જોડાયા
ગીર સોમનાથ જિલ્લામાં ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાનો 26 ફેબ્રુઆરીથી શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે. સવારે 10 વાગ્યાથી ધોરણ 10 ની પરીક્ષા શરૂ થતાં જ જિલ્લાના પરીક્ષા કેન્દ્રો પર ગંભીરતા અને શિસ્તનો માહોલ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને પુષ્પ આપી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેનાથી તેમનામાં આત્મવિશ્વાસ અને ઉત્સાહ વધ્યો હતો. જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એમ.પી. બોરીચાએ માહિતી આપતા જણાવ્યું કે, ગીર સોમનાથ જિલ્લામાં ધોરણ 10 અને 12 ના કુલ 29,511 વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપી રહ્યા છે. આ માટે સમગ્ર જિલ્લામાં 49 પરીક્ષા કેન્દ્રો અને 1082 બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષણ તંત્ર દ્વારા પરીક્ષા પ્રક્રિયા સુચારૂ રીતે પાર પડે તે માટે અગાઉથી જ વિસ્તૃત આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ અને નિર્ભય વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે તમામ પરીક્ષા કેન્દ્રો પર જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા ઇમરજન્સી સારવાર, એસ.ટી. વિભાગ દ્વારા પરિવહન સુવિધા અને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. કેન્દ્રો આસપાસ કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ પેટ્રોલિંગ પણ ગોઠવવામાં આવ્યું છે. ગેરરીતિ વિહીન અને પારદર્શક પરીક્ષા યોજાય તે સુનિશ્ચિત કરવા માટે તમામ પરીક્ષા કેન્દ્રોના દરેક બ્લોકને CCTV કેમેરાથી સજ્જ કરાયા છે. જિલ્લામાં 2 ફ્લાઈંગ સ્ક્વોડ તૈનાત કરવામાં આવી છે, જે સતત વિવિધ કેન્દ્રોની દેખરેખ રાખી રહી છે. જિલ્લા કલેક્ટર દ્વારા દરેક પરીક્ષા કેન્દ્ર પર ક્લાસ-વન અને ક્લાસ-ટુ અધિકારીઓને ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કરાયા છે, જેથી પરીક્ષા પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે. શિક્ષણ તંત્રના સુવ્યવસ્થિત આયોજન અને વિવિધ વિભાગોના સંકલિત પ્રયાસોથી જિલ્લામાં પરીક્ષાનો પ્રથમ દિવસ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે. ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી શરૂ થઈ 18 માર્ચ સુધી ચાલશે.
પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન શેઠ એમ.એન. સાયન્સ કોલેજ દ્વારા 'ભારતીય જ્ઞાન પ્રણાલી અને વિજ્ઞાનમાં યોગદાન' વિષય પર બે દિવસીય રાષ્ટ્રીય રિસર્ચ વર્કશોપનું આયોજન કરાયું છે. આ કાર્યશાળા 27 અને 28 ફેબ્રુઆરી, 2026 દરમિયાન યોજાશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાચીન ભારતીય વિજ્ઞાન અને આધુનિક સંશોધન પદ્ધતિઓ વચ્ચે સેતુ બાંધવાનો છે. ઉત્તર ગુજરાત એજ્યુકેશન સોસાયટી, મુંબઈ સંચાલિત શેઠ એમ.એન. સાયન્સ કોલેજના IQAC ના નેજા હેઠળ આ કાર્યક્રમ યોજાશે. 27 ફેબ્રુઆરીના રોજ સવારે 10:30 કલાકે મ્યુઝિયમ હોલ ખાતે ઉદ્ઘાટન સમારોહ યોજાશે. જેમાં મુખ્ય અતિથિ તરીકે પ્રો. ડો. કે.સી. પોરિયા અને અતિથિ વિશેષ તરીકે ડો. રોહિતભાઈ દેસાઈ ઉપસ્થિત રહેશે. બે દિવસીય આ કાર્યક્રમમાં વિવિધ વિષયો પર નિષ્ણાતો દ્વારા વ્યાખ્યાનો આપવામાં આવશે. આ વિષયોમાં પ્રાચીન જૈવિક વિજ્ઞાન, કેમિકલ સાયન્સ અને ધાતુશાસ્ત્ર, પ્રાચીન નેનો ટેકનોલોજી, ભૌતિક વિજ્ઞાન, ગણિત અને જ્યોતિષશાસ્ત્રનો સમાવેશ થાય છે. આ વર્કશોપમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોના શિક્ષણવિદો, વૈજ્ઞાનિકો, ઉદ્યોગ સાહસિકો અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ ભાગ લેશે. પ્રથમ દિવસે ડો. ડી.એ. પાટીલ, ડો. એ.કે. શાહ અને ડો. સ્મૃતિ સિંહના આમંત્રિત વ્યાખ્યાનો યોજાશે, ત્યારબાદ પોસ્ટર પ્રેઝન્ટેશન સેશન રાખવામાં આવ્યું છે. બીજા દિવસે ડો. રામેશ્વર અમેટા, ડો. બી.એ. જાડેજા, ડો. કુલદીપ લુહાણા, ડો. કલ્પા ઓઝા અને ડો. કંદર્પ ભટ્ટના ટેકનિકલ સેશન યોજાશે. કાર્યક્રમના અંતે સર્ટિફિકેટ વિતરણ સાથે સમાપન સમારોહ યોજાશે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રિન્સિપાલ ડો. પિયુષ વ્યાસ અને કન્વીનર ડો. એન.કે. પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ સમિતિઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. વિકસિત ભારત 2047 ના વિઝન સાથે સુસંગત આ કાર્યશાળા સંશોધકોને આઈપીઆર અને ગુણવત્તાયુક્ત સંશોધન ડોક્યુમેન્ટેશન બાબતે પણ માર્ગદર્શન પૂરું પાડશે.
જામનગરમાં આજથી SSC અને HSC બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. કુલ 28,538 HSC વિદ્યાર્થીઓ અને 17,343 SSC વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. HSC વિજ્ઞાન પ્રવાહમાં 1905 અને સામાન્ય પ્રવાહમાં 9169 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે. શહેરના 16 કેન્દ્રો પર 975 બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ પરીક્ષા કેન્દ્રોના બિલ્ડિંગ અને ક્લાસરૂમ CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. પરીક્ષા દરમિયાન ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે પરીક્ષાર્થીઓને મીઠું મોં કરાવી શુભેચ્છા પાઠવી હતી અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને ધોરણ 12 (સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહ)ની વાર્ષિક પરીક્ષાઓનો રાજ્યવ્યાપી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ભાવનગર જિલ્લામાં પણ વિદ્યાર્થીઓ ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા છે, જ્યાં વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી મોં મીઠું સાથે ગુલાબ આપી આવકાર્યા હતા, ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં કુલ 37,501 વિદ્યાર્થીઓ નોંધાયા છે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 18,717 તેમજ વિજ્ઞાન પ્રવાહમાં 6292 વિદ્યાર્થીઓ નોંધાયા છે ધો.10 માટે 132 બિલ્ડીંગ, 1254 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી રહી છે, તેવી જ રીતે બપોર બાદ ધો-12 (વિજ્ઞાન પ્રવાહ) માટે 31 બિલ્ડીંગ, 319 બ્લોક અને ધો-12 (સામાન્ય પ્રવાહ) માટે 69 બિલ્ડીંગ, 624 બ્લોકમાં પરીક્ષા યોજાશે, આમ, ભાવનગર જિલ્લામાં ધો.10 અને ધો.12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહમાં કુલ મળીને 62,510 વિદ્યાર્થીઓ નોંધાયા છે, તમામ પર CCTV કેમેરાની બાજ નજર રહેશે, જિલ્લા શિક્ષણ અધિકારી હિતેન્દ્રસિંહ પઢેરીયા એ જણાવ્યું હતું કે, જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં એક પણ પરીક્ષા કેન્દ્ર 'સંવેદનશીલ' જાહેર કરવામાં આવ્યું નથી, તેમ છતાં, સાવચેતીના ભાગરૂપે વિશેષ પગલાં લેવામાં આવ્યા છે જેમાં વિજ્ઞાન પ્રવાહના તમામ કેન્દ્રો પર ફૂલ ટાઈમ વર્ગ-1 અને વર્ગ-2 કક્ષાના અધિકારીઓની ઓબ્ઝર્વર (નિરીક્ષક) તરીકે નિમણૂક કરવામાં આવી છે, જેથી કોઈ પણ પ્રકારની ગેરરીતિ અટકાવી શકાય અને સુચારૂ સંચાલન થાય. તંત્રએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના માનસિક તણાવ વગર અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેવી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અધિકારીઓએ તમામ પરીક્ષાર્થીઓને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી છે.
બનાસકાંઠા જિલ્લામાં આજે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. જિલ્લાના કુલ 122 કેન્દ્રો પર 87,609 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ અને બોલપેન આપીને પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત આ પરીક્ષામાં ધોરણ 10 માટે જિલ્લામાં 68 કેન્દ્રો પર 50,746 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના 30,661 વિદ્યાર્થીઓ 46 કેન્દ્રો પર પરીક્ષા આપશે, જ્યારે વિજ્ઞાન પ્રવાહના 6,202 વિદ્યાર્થીઓ 8 કેન્દ્રો પર પરીક્ષા આપશે. આમાં રીપીટર, પૃથ્થક અને ખાનગી ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. પરીક્ષા પ્રક્રિયા શાંતિપૂર્ણ, નિર્ભય અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ છે. પરીક્ષાના સુચારુ સંચાલન માટે એસ.એસ.સી. માટે 5 ઝોન અને એચ.એસ.સી. માટે 2 ઝોન રચીને દેખરેખની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મંત્રી અને ધારાસભ્યોની ફરિયાદ રહતી આવી છે કે, અધિકારીઓ તેઓને ગાંઠતા નથી. સમયાંતરે ધારાસભ્યો જાહેરમાં પોતાની નારાજગી પણ વ્યકત કરી ચૂક્યા છે. ત્યારે હવે સરકારે મંત્રી અને ધારાસભ્યોનું માન સન્માન જળવાય રહે તે માટે એક પરિપત્ર કરી અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. સૂચનાનું પાલન નહીં કરનાર અધિકારી સામે શિસ્તભંગની કાર્યવાહી થશે. અધિકારીઓ દ્વારા અયોગ્ય વર્તન કરાતું હોવાની ફરિયાદો ઉઠી હતીરાજ્યમાં લોકપ્રતિનિધિઓના માન-સન્માન અંગે ઉઠતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કડક વલણ અપનાવ્યું છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ સાંસદ, મંત્રી અને ધારાસભ્યો સહિતના લોકપ્રતિનિધિઓ સાથે વિવેકપૂર્ણ અને સન્માનજનક વર્તન રાખે.સરકારને મળતી રજૂઆતોમાં લોકપ્રતિનિધિઓ સાથે યોગ્ય વ્યવહાર ન થતો હોવાની બાબતો સામે આવતા આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. સરકારે ચેતવણી આપી છે કે જો કોઈ અધિકારી અથવા કર્મચારી દ્વારા આ સૂચનાઓનું ઉલ્લંઘન થશે તો તેમના સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે. આ પગલું પ્રશાસનમાં પારદર્શિતા અને સમન્વય વધારવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. રાજકીય વર્તુળોમાં આ પરિપત્રને પ્રજાના હિતમાં લેવાયેલો નિર્ણય ગણાવવામાં આવી રહ્યો છે. લોકપ્રતિનિધિઓ અને વહીવટી તંત્ર વચ્ચે સુમેળ જળવાશે તો પ્રજાના પ્રશ્નોનો ઉકેલ વધુ ઝડપથી આવી શકશે એવી આશા વ્યક્ત થઈ રહી છે.રાજ્ય સરકારના આ પરિપત્ર બાદ હવે તમામ કચેરીઓમાં તેના અમલ પર નજર રાખવામાં આવશે.
વલસાડના રોલા ગામે ‘રોલા વિકાસ ટ્રસ્ટ’ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત ‘નમોત્સવ’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ડ્રોન શો રહ્યો હતો. જેમાં આશરે 150 ડ્રોન્સે આકાશમાં એકસાથે ઉડીને વિવિધ આકૃતિઓ રજૂ કરી હતી. આ આકૃતિઓમાં પીએમ મોદીનો ચહેરો, ભારતનો નકશો અને અન્ય દેશભક્તિના પ્રતીકોનો સમાવેશ થતો હતો. આ પ્રસંગે આતશબાજી પણ કરવામાં આવી હતી. જાણીતા કલાકાર સાઈરામ દવેએ સંગીતમય અને નાટ્યાત્મક શૈલીમાં પીએમ મોદીના વડનગરના બાળપણથી લઈને દિલ્હીના શાસન સુધીની જીવનગાથા પ્રસ્તુત કરી હતી. અઢી કલાકના આ મલ્ટીમીડિયા મ્યુઝિકલ શોમાં મોદીજીની ‘શૌર્ય ગાથા’, ‘વિકાસ ગાથા’ અને ‘સેવા ગાથા’ દર્શાવવામાં આવી હતી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી નરેશ પટેલ, પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, વલસાડના ધારાસભ્ય ભરત પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી, પ્રદેશ ભાજપ મંત્રી સોનલ સોલંકી સહિત ભાજપના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ લોકસભાના દંડક ધવલ પટેલે કાર્યક્રમનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, આવનારી પેઢી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનમાંથી પ્રેરણા મેળવી દેશસેવામાં જોડાય તે છે.
ધો.10-12 બોર્ડ પરીક્ષા શરૂ:જામનગરમાં 28,538 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, CCTVથી નજર
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો આજથી, 26 ફેબ્રુઆરીથી પ્રારંભ થયો છે. જામનગર જિલ્લામાં કુલ 28,538 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષાઓ યોજાય તે માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે, જેથી કોપીકેસ જેવા દૂષણોને રોકી શકાય. વિદ્યાર્થીઓની સુવિધા માટે કંટ્રોલ રૂમ અને હેલ્પ સેન્ટર પણ કાર્યરત કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ આજે જુદા જુદા પરીક્ષા કેન્દ્રો ખાતે પોતાના બેઠક ક્રમાંકની ચકાસણી કરી શકશે. આ પરીક્ષાઓ 18 માર્ચ સુધી ચાલશે. ધોરણ 10 માટે જામનગરમાં 9 સેન્ટર, 59 બિલ્ડિંગ અને 577 બ્લોકમાં 17,343 વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ) માટે 2 સેન્ટર, 10 બિલ્ડિંગ અને 95 બ્લોકમાં 1,905 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જ્યારે ધોરણ 12 (સામાન્ય પ્રવાહ)માં 5 સેન્ટર, 32 બિલ્ડિંગ અને 303 બ્લોકમાં 9,169 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ ઉપરાંત, સંસ્કૃત પ્રથમામાં 46 અને સંસ્કૃત મધ્યમામાં 75 વિદ્યાર્થીઓ નોંધાયા છે. આમ, બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ માટે કુલ 16 કેન્દ્રો, 101 બિલ્ડિંગ અને 975 બ્લોક ખાતે આયોજન થયું છે. આજે પરીક્ષાના પ્રથમ દિવસે અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને મોઢા મીઠા કરાવી, કુમકુમ તિલક કરીને શુભેચ્છાઓ પાઠવી પરીક્ષાનો શુભારંભ કરાયો હતો. ધોરણ 10ના વિદ્યાર્થીઓને જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર તથા જિલ્લા શિક્ષણાધિકારી વિપુલ મહેતા દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા અપાઈ અને વિદ્યાર્થીઓનું કુમ કુમ તિલક દ્વારા સ્વાગત કર્યુ હતું, જ્યારે શહેરમાં ડીસીસી હાઇસ્કુલ ખાતે જિલ્લા કલેકટર કેતન ઠક્કર અને જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતા દ્વારા વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને ચોકલેટ આપી સ્વાગત કર્યું હતું અને ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ કરાવ્યો હતો. એસએસસી (ધોરણ 10) પરીક્ષા સવારના સેશનમાં અને એચએસસી (ધોરણ 12) પરીક્ષા બપોરના સેશનમાં લેવાશે, જોકે કેટલાક પેપરો સવારના સેશનમાં પણ રહેશે. પરીક્ષા દરમિયાન રિઝર્વ ડે અને જાહેર રજાઓ પણ રહેશે. આ પરીક્ષાઓ 20 થી 22 દિવસ સુધી ચાલશે. જામનગર જિલ્લામાં એસએસસી પરીક્ષા કેન્દ્રોમાં જામનગર શહેર, જામનગર દિગ્વિજય, ધ્રોલ, કાલાવડ, જોડિયા, લાલપુર, સિક્કા, જામજોધપુર અને જાંબુડા પાટિયાનો સમાવેશ થાય છે. એસએસસી અને સંસ્કૃત પ્રથમાનો સમય સવારે 10:30 થી 1:15 રહેશે.
મંત્રી રિવાબા જાડેજાના આદેશથી:વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાં મનપાની કાર્યવાહી, દુર્ગંધ રોકવા કડક સૂચના
જામનગરના વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાંથી ફેલાતી દુર્ગંધ અંગે સ્થાનિકોની રજૂઆત બાદ રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાના આદેશથી મહાનગરપાલિકાનું તંત્ર સક્રિય થયું છે. મનપાના અધિકારીઓ અને કોર્પોરેટરોએ પ્લાન્ટની મુલાકાત લઈ દુર્ગંધ રોકવા માટે કંપનીને કડક સૂચનાઓ આપી છે. ગાંધીનગર વિસ્તારમાં આવેલા આ પ્લાન્ટને કારણે આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ ફેલાતી હોવાની ફરિયાદો લાંબા સમયથી હતી. ગુજરાત વિધાનસભા સત્રમાં હાજર રહેલા મંત્રી રિવાબા જાડેજાને આ અંગે રજૂઆતો મળ્યા બાદ તેમણે તાત્કાલિક જામનગર મહાનગરપાલિકાને કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા હતા. મંત્રીના સૂચન બાદ મહાનગરપાલિકાના આસી. કમિશનર અને સોલિડ વેસ્ટ વિભાગના કંટ્રોલિંગ અધિકારી મુકેશભાઈ વરણવા તેમની ટીમ સાથે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ સ્થળે પહોંચ્યા હતા. આ નિરીક્ષણ દરમિયાન વોર્ડ નંબર બે, ત્રણ અને ચારના ભાજપના કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ કંપનીને બહાર રાખવામાં આવેલો કચરો તાત્કાલિક અસરથી ઉપાડી લેવા અને જરૂરી સફાઈ કરવા માટે કડક સૂચના આપી હતી. ઉપરાંત, આસપાસના વિસ્તારમાં ડિઓ-સ્પ્રેની માત્રા વધારવા અને તેના નોઝલની યોગ્ય જાળવણી કરવા પણ જણાવાયું હતું, જેથી દુર્ગંધ વધુ ન ફેલાય. મહાનગરપાલિકાના તંત્ર દ્વારા હવે આ સ્થળની અઠવાડિયામાં બે વખત મુલાકાત લેવામાં આવશે અને સફાઈ સંબંધિત દૈનિક રિપોર્ટિંગ આપવાનું રહેશે. મનપાની ટીમ દ્વારા પણ આ બાબતે દૈનિક મોનિટરિંગ કરવામાં આવશે. નજીકના ભવિષ્યમાં આ કંપનીને અન્યત્ર સ્થળાંતર કરવાની પણ વિચારણા ચાલી રહી હોવાનું જણાવાયું છે.
આજથી વલસાડ જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. જિલ્લાના 57 કેન્દ્રો પર કુલ 51,415 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષાઓ ૧૫૪ બિલ્ડિંગોમાં આવેલા ૧૮૫૪ બ્લોકમાં યોજાઈ રહી છે. પરીક્ષાની પારદર્શિતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ બ્લોક સી.સી.ટી.વી. કેમેરાથી સુસજ્જ કરવામાં આવ્યા છે. બુધવારે વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાલક્ષી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. વ્યવસ્થાના ભાગરૂપે વલસાડ અને વાપી એમ બે ઝોન પાડવામાં આવ્યા છે. પરીક્ષાના સુચારુ સંચાલન માટે જિલ્લા શિક્ષણ કચેરીના સ્ટાફ, પોલીસ સ્ટાફ, સરકારી પ્રતિનિધિઓ, કેન્દ્ર સંચાલકો, સેવકો અને આરોગ્ય સ્ટાફ સહિત કુલ ૧૬૫૮ કર્મચારીઓ પરીક્ષા કામગીરીમાં જોડાયેલા છે. જિલ્લા શિક્ષણ અધિકારી ડો. રાજશ્રી ટંડેલે વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને કોઈપણ ભય વગર શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપવા અનુરોધ કર્યો હતો.
ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. જિલ્લાના 143 પરીક્ષા કેન્દ્રો પર કુલ 35,861 વિદ્યાર્થીઓ ઉત્સાહભેર પરીક્ષા આપી રહ્યા છે. પ્રથમ દિવસે અધિકારીઓએ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને ફૂલ આપી શુભેચ્છા પાઠવી હતી. આજે ધોરણ-10નું ગુજરાતી વિષયનું પેપર લેવાયું હતું, જ્યારે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું ભૌતિક વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું અર્થશાસ્ત્ર વિષયનું પેપર યોજાયું હતું. પરીક્ષા કેન્દ્રોમાં શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત વાતાવરણ જોવા મળ્યું હતું. જિલ્લામાં એસએસસીના 22,796 વિદ્યાર્થીઓ, એચએસસી સામાન્ય પ્રવાહના 9,774 અને વિજ્ઞાન પ્રવાહના 3,259 વિદ્યાર્થીઓ પરીક્ષામાં સામેલ થયા છે. આ ઉપરાંત, સંસ્કૃત માધ્યમના 32 વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષા પ્રક્રિયા પારદર્શક અને નિયમબદ્ધ રહે તે માટે 153 સરકારી પ્રતિનિધિઓ, 143 સુપરવાઇઝરો, 1,282 ખંડ નિરીક્ષકો અને 331 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા પોલીસ વિભાગ અને રિક્ષા એસોસિએશનની મદદથી પરિવહન વ્યવસ્થા કરાઈ હતી. પરીક્ષા કેન્દ્રોમાં સ્માર્ટ વોચ સહિતના ઇલેક્ટ્રોનિક સાધનો અને 100 મીટરના વિસ્તારમાં ઝેરોક્સ મશીન તથા લાઉડસ્પીકર ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા આરોલે શહેરના GNFC નર્મદા વિદ્યાલય ખાતે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને તિલક કરી, ચોકલેટ અને ગુલાબ આપી પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
સાબરકાંઠાના વિજયનગર તાલુકાના આમોદ્રા ગામની તેજલ ડામોરે દુબઈમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સ ગેમ્સમાં બે સુવર્ણ ચંદ્રક જીત્યા છે. તેણે 200 મીટર અને 400 મીટર દોડમાં આ સિદ્ધિ મેળવી ભારતનું નામ રોશન કર્યું છે. આ સ્પર્ધા દુબઈ ખાતે યોજાઈ હતી, જેમાં 600 જેટલા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેજલે આ ખેલાડીઓ વચ્ચે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેજલ ડામોર સાબરકાંઠાના ઇડર સ્થિત રાષ્ટ્રીય અંધજન મંડળ સાથે સંકળાયેલી છે. આ મંડળે તેને લોકભાગીદારીથી મે 2025માં પ્રવેશ અપાવ્યો હતો. હાલમાં તે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) ખાતે રમતગમતની સઘન તાલીમ લઈ રહી છે. તેની આ નોંધપાત્ર સિદ્ધિ બદલ રાષ્ટ્રીય અંધજન મંડળ અને SAI દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા શરૂ:પાટણમાં વિદ્યાર્થીઓને તિલક-મોં મીઠું કરાવી આવકાર, વાલીઓની ભીડ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. પાટણ જિલ્લામાં બે ઝોનમાં ધોરણ 10ના 22 કેન્દ્રો પર 18,630 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. ધોરણ 10ની પરીક્ષા શરૂ થવાના અડધો કલાક પહેલાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરી સહિત લીઓ ક્લબ, ભારત વિકાસ પરિષદ અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક, ગુલાબ અને સાકરથી મોં મીઠું કરાવી આવકારવામાં આવ્યા હતા. તેમને બોલપેન અને ચોકલેટ આપી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી. પાટણ જિલ્લાની તમામ પરીક્ષા શાળાઓના બ્લોકમાં સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ પરીક્ષા યોજાઈ રહી છે. વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતર માટે મહત્વપૂર્ણ આ બોર્ડ પરીક્ષા ગુરુવારથી શરૂ થઈ છે. પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓની બેગ, બુટ, ચપ્પલ, મોજા સહિતની વસ્તુઓ પરીક્ષા ખંડની બહાર રખાવવામાં આવી હતી. પરીક્ષા કેન્દ્રોની બહાર પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને મૂકવા આવેલા વાલીઓનો જમાવડો જોવા મળ્યો હતો. પરીક્ષાના સમયગાળા દરમિયાન પણ વાલીઓ બહાર રાહ જોઈ રહ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ધોરણ 10 અને 12ની જાહેર પરીક્ષાનો શુભારંભ થયો છે. બી.એમ. હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તેમણે માહિતી આપી કે, ધોરણ 10માં 18,630 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. વધુમાં, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 14 કેન્દ્રો પર 10,367 વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં 4 કેન્દ્રો પર 1,721 વિદ્યાર્થીઓ જિલ્લામાં પરીક્ષા આપી રહ્યા છે. સમગ્ર પરીક્ષા વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે આપી શકે તે માટે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. તેમણે તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા શિક્ષણાધિકારીએ ઉમેર્યું હતું કે, જિલ્લાની મોટાભાગની શાળાઓના વર્ગખંડોમાં સીસીટીવી કેમેરા મારફતે પરીક્ષાનું સર્વેલન્સ થશે. ગાંધીનગર અને પાટણની સ્કોડ ટીમો પણ પરીક્ષા પર નજર રાખશે.
અમદાવાદ એરપોર્ટ પરથી અવરજવર કરી રહેલા વધુ એક પેસેન્જરના પેટમાં છુપાવેલું સોનું મળી આવ્યું છે. અબુધાબીથી અમદાવાદ એર અરેબિયાની ફ્લાઈટમાં આવેલા યુપીના એક મુસાફરની પૂછપરછ અને તલાશી લેતા તેને પોતાના પેટમાં સોનાની કેપ્સુલ છુપાવી હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ કોર્ટના આદેશથી સિવિલ મોકલાયો હતો. જ્યાં મળમાંથી 5 લાખની કિંમતની 37 ગ્રામની ગોલ્ડની ત્રણ કેપ્સૂલ મળી આવી હતી. મહત્વનું છે કે, અમદાવાદ એરપોર્ટ પર એક જ મોડસ ઓપરેન્ડીથી શરીરમાં સોનું છુપાવી લાવવાની અઠવાડિયામાં આ બીજી ઘટના છે. આ પહેલા 19 ફેબ્રુઆરીએ એક પેસેન્જરના પેટમાંથી 21 લાખ રૂપિયાનું સોનું મળી આવ્યું હતું. આ અગાઉ યુગાન્ડાની મહિલાના શરીરમાં છુપાવેલી હેરોઇન ભરેલી 79 કેપ્સ્યુલ કબજે કરવામાં આવી હતી. આ કેસમાં તાજેતરમાં જ કોર્ટ દ્વારા મહિલા આરોપીને વીસ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ત્યાં વળી આવા બીજા બે કેસ કસ્ટમ વિભાગના અધિકારીઓએ પકડી પાડયા છે. અમદાવાદ કસ્ટમ્સના AIU અધિકારીઓએ પ્રોફાઇલિંગના આધારે ભારતીય પાસપોર્ટ ધરાવતા ફખરુદ્દીન નામના એક પુરુષ પેસેન્જરને 19.02.2026 ના રોજ એર અરેબિયા ફ્લાઇટમાં અબુ ધાબીથી અમદાવાદ આવી રહેલા પેસેન્જરને અટકાવ્યો હતો. તેની પૂછપરછમાં પેસેન્જરે કબૂલ્યું છે કે તેણે ગળીને તેના શરીરમાં ધાતુ/નિષેધાત્મક વસ્તુઓ છુપાવી હતી.ત્યારબાદ 19 ફ્રેબ્રુઆરીના રોજ અમદાવાદના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, મુસાફરને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જેથી તેના શરીરમાં છુપાયેલા પદાર્થો શોધી શકાય. હોસ્પિટલમાં પેસેન્જર દ્વારા મળ પસાર કરતી વખતે સિવિલ હોસ્પિટલ, અમદાવાદના ડૉક્ટરને પેક્સમાં ૩ ત્રણ આકાર વગરના સોનાના બાર છુપાવેલા જોવા મળ્યા હતા. સિવિલ હોસ્પિટલ, અમદાવાદે ગઇકાલ 24મી ફ્રેબ્રુઆરીના રોજ મેડિકલ રિપોર્ટ દ્વારા ઉપરોક્ત છુપાવેલા માલની માહિતી આપી અને પેસેન્જરને ડિસ્ચાર્જ કર્યો હતો. આથી કસ્ટમ્સ અધિકારીઓએ આ સોનાના બાર અંગે સરકારી મૂલ્યાંકનર પાસે મુલ્ય કઢાવ્યું હતું. જેમા સરકારી મૂલ્યાંકનકારે ઉપરોક્ત છુપાયેલા માલનું મૂલ્યાંકન કરીને ગઇકાલે 24મી ફ્રેબ્રુઆરીના રોજ પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. જેમાં પ્રમાણિત કરવામાં આવ્યું હતું કે, ત્રણ આકાર વગરના સોનાના બાર 37.180 ગ્રામ વજનનું સોનું છે, જે શુદ્ધતા 821.0/ 19.71 કેરેટનું છે. જેની બજાર કિંમત રૂ. 5,01,827 અને ટેરિફ મૂલ્ય રૂ. 4,55,569 થાય છે. તેથી, કસ્ટમ્સ એક્ટ- 1962 ની જોગવાઈઓ હેઠળ તેમને જપ્ત કરવામાં આવ્યા હતા. અને તેની સામે કસ્ટમ્સને જાહેર કર્યા વિના શરીરમાં છુપાવીને ભારતમાં દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવા અંગેનો કેસ કરીને વધુ તપાસ ચલાવી રહી છે. આ પહેલા શાહરુખના શરીરમાંથી 21 લાખનું સોનું મળ્યું હતુંઆ અગાઉ અબુધાબીથી અમદાવાદ આવેલાં શાહરુખ નામના પેસેન્જર પાસેથી પણ 21 લાખથી વધુ કિંમતની ત્રણ સોનાની કેપ્સ્યુલ ઉપરાંત ગોળાકાર કેપ્સ્યુલ ફેરસ ધાતુનું બનેલ હોવાનું જાણવા મળ્યું હતું. તે પણ આ જ રીતે શરીરમાં છૂપાવીને લાવ્યો હતો. તેને પણ સિવિલ હોસ્પિટલમાં જ દાખલ કરીને પેક્સ દ્રારા મળ પસાર કરાવીને માલમત્તા કબ્જે કરી હતી. ત્યાં આ જ મોડેસી ઓપરેન્ડીથી આવેલાં બીજા મુસાફર પાસેથી પણ સોનાના બાર કબ્જે કરવામાં આવ્યા છે. છે.
નાયબ કલેકટર એચ.ટી. મકવાણાએ મુળી તાલુકાના નાળઘ્રી અને થાનગઢ તાલુકાના રૂપાવટી ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે તલાટી કમ મંત્રીના દફતરની તપાસણી કરી હતી. એપેન્ડીક્સ-એ અને સામાન્ય દફતર તપાસણી ફોર્મ ભરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, નાયબ કલેકટરે ગ્રામજનોના પ્રશ્નો સાંભળ્યા હતા. આ પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને તપાસ કરી અહેવાલ સુપરત કરવા સૂચના આપવામાં આવી હતી. તેમણે ગામના ખેડૂતો સાથે પણ મુલાકાત કરી હતી. ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદા, તેની પદ્ધતિઓ અને તેનાથી કયા રોગોથી બચી શકાય તે અંગે વિગતવાર માહિતી આપી હતી. વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે તેમને સમજાવવામાં આવ્યા હતા. દફતર તપાસણી દરમિયાન મુખ્યત્વે નીચે મુજબના રજીસ્ટરોની ચકાસણી કરવામાં આવી હતી: ગામ નમૂના નંબર 1 (ખેતીવારી પત્રક), ગામ નમૂના નંબર 8(ક) (શિક્ષણ ઉપકર), ગામ નમૂના નંબર 9 (રોજમેળ તથા પહોંચનું પત્રક), ગામ નમૂના નંબર 10 (ચલણ), ગામ નમૂના નંબર 14 (જન્મ-મરણ રજીસ્ટર), ગામ નમૂના નંબર 14(ડ) (ઢોરોનું રજીસ્ટર), ગામ નમૂના નંબર 17 (આવક-જાવક રજીસ્ટર) અને ગામ નમૂના નંબર 18 (સરક્યુલર ફાઇલ). આ તપાસણીમાં ગામની જમીન, વસ્તી, ઢોર, પિયતના પાણીના સાધનો, રોગચાળા, પહોંચબુક અને ગામના નકશા અંગેની માહિતી યોગ્ય રીતે જાળવવામાં આવે છે કે કેમ તેની ચકાસણી કરાઈ હતી. તલાટી કમ મંત્રી નિયમિત ગામે જાય છે, ડાયરી લખે છે અને પંચાયતની મિલકતની દેખરેખ રાખે છે કે કેમ તે મુદ્દાઓની પણ તપાસ કરવામાં આવી હતી.
આજથી બોર્ડ પરીક્ષાનો પ્રારંભ:અમરેલીમાં 31 હજારથી વધુ વિદ્યાર્થીઓ 48 કેન્દ્ર પર પરીક્ષા આપશે
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. અમરેલી જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષા કુલ 48 કેન્દ્રો પર શરૂ થઈ છે, જેમાં 31 હજારથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. આ પરીક્ષામાં ધોરણ 10ના 19,500 વિદ્યાર્થીઓ, ધોરણ 12 સાયન્સના 1,635 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના 10,400 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જિલ્લા શિક્ષણ વિભાગ અને પોલીસ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજવા માટે વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમરેલી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તમામ કેન્દ્રો પર વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તકેદારીના ભાગરૂપે કેટલાક કેન્દ્રો પર વર્ગ-1 અધિકારીઓની નિમણૂક કરાઈ છે. પીવાના પાણીની વ્યવસ્થા, સેનિટેશનની સુવિધા અને ઇમરજન્સી જરૂરિયાત માટે પીએચસી સેન્ટરના સંપર્ક નંબરો પણ ઉપલબ્ધ કરાવાયા છે, જેથી આરોગ્ય વિભાગની મદદ તાત્કાલિક મેળવી શકાય. પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે સુનિશ્ચિત કરવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમરેલી જિલ્લા પોલીસ વડા, DYSP, PI અને PSI સહિતના અધિકારીઓને આ અંગે સૂચનાઓ આપવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીઓ નિર્ભયતાથી પરીક્ષા આપી શકે. બોર્ડની પરીક્ષા શરૂ થતી હોવાથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. પરીક્ષા કેન્દ્રથી 100 મીટર ત્રિજ્યામાં આવેલી ઝેરોક્ષ અને ફેક્સની દુકાનો પર ઝેરોક્ષ તથા ફેક્સ મશીનના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત, પરીક્ષા કેન્દ્ર પર મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, બ્લુટૂથ, ઇયરફોન, કેમેરા, લેપટોપ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 100 મીટરના વિસ્તારમાં ત્રણથી વધુ વ્યક્તિઓને એકઠા થવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 મુજબ સજાપાત્ર બનશે.
ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી આંતરજિલ્લા ગેંગ સામે કાર્યવાહી તેજ કરી છે. ₹1.09 કરોડથી વધુની છેતરપિંડીના ગુનામાં પોલીસે સુરતમાંથી વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આ સાથે આ કેસમાં કુલ ધરપકડનો આંક પાંચ પર પહોંચ્યો છે. કેસની વિગત મુજબ, ફરિયાદીનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Threads અને Telegram પર ‘Gurneet Randhawa’ નામની આઈડી દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ ‘Lotteebay’ નામના પ્લેટફોર્મ પર ઓનલાઇન સ્ટોર શરૂ કરાવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના વેચાણમાં મોટો નફો મળશે તેવી લાલચ આપી હતી. ફરિયાદીએ વિશ્વાસમાં આવી અલગ-અલગ દસ બેંક એકાઉન્ટ્સમાં ટુકડે-ટુકડે કુલ ₹1,10,25,500/- જમા કરાવ્યા હતા. શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે આરોપીઓએ ₹39,930/- પરત કર્યા હતા, પરંતુ બાદમાં ₹1,09,85,570/- ની રકમ ઓળવી જઈ છેતરપિંડી આચરી હતી. સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને બેંક એકાઉન્ટ ટ્રેઇલના આધારે અગાઉ દિવ્યેશ ઉર્ફે દિવો ભુવા, કિશન ધડુક, પ્રશાંત વઘાસિયા અને રૂષપ સતાસીયાની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે પોલીસે સુરતના ખોડિયાર નગર વિસ્તારમાંથી ઉત્સવ ચંદુભાઈ ભેસાણીયાને ઝડપી પાડ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે ઉત્સવ ભેસાણીયા ગેંગ માટે બેંક એકાઉન્ટ્સની વ્યવસ્થા કરવાનું કામ કરતો હતો. તેણે રૂષપ સતાસીયા પાસેથી ઇન્ડસઇન્ડ બેંક, વાપી બ્રાંચનું કરંટ એકાઉન્ટ મેળવ્યું હતું. આ એકાઉન્ટમાં જુલાઈ-2025થી ઓક્ટોબર-2025 દરમિયાન ₹2.40 કરોડથી વધુના નાણાકીય વ્યવહારો થયા હોવાનું બહાર આવ્યું છે, જેમાંથી અંદાજે ₹19 લાખ આ કેસના ફરિયાદી પાસેથી જમા કરાવવામાં આવ્યા હતા. પોલીસે આરોપી પાસેથી એક મોબાઇલ ફોન જપ્ત કર્યો છે અને ડિજિટલ ફોરેન્સિક તપાસ હાથ ધરી છે. સમગ્ર ગેંગના અન્ય સભ્યો તથા નાણાંની હેરફેરના તાંતણા શોધવા માટે વધુ તપાસ ચાલુ છે. પોલીસ દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ અથવા વધુ નફાની લાલચ આપતી અજાણી લિંક્સ અને પ્લેટફોર્મથી સાવચેત રહે. કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર સંપર્ક કરવા જણાવાયું છે.
આજથી બોર્ડની પરીક્ષા શરૂ:ઝાલાવાડમાં 127 કેન્દ્ર પર 32208 વિદ્યાર્થી પરીક્ષા આપશે
સુરેન્દ્રનગર જિલ્લામાં આજે, 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. આ પરીક્ષાઓ 18 માર્ચ સુધી ચાલશે. જિલ્લાના 127 પરીક્ષા કેન્દ્રો પર કુલ 32,208 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અને પરીક્ષા સમિતિના અધ્યક્ષ કે.એસ. યાજ્ઞિકના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારી એ.એમ. ઓઝા દ્વારા પરીક્ષા માટે ત્રણ ઝોન બનાવવામાં આવ્યા છે. ધોરણ 10 માટે બી.સી. પરમાર અને બિપિનભાઈ પટેલને ઝોનલ અધિકારી બનાવાયા છે, જ્યારે ધોરણ 12 માટે કે.એન. બારોટ ઝોનલ અધિકારી તરીકે ફરજ બજાવશે. શહેરની એન.ટી.એમ. હાઈસ્કૂલને ઝોન કચેરી બનાવવામાં આવી છે. બુધવારે ત્રણેય ઝોનમાં પરીક્ષા સ્થળોએ મોકલવામાં આવનાર સાહિત્યના થેલા તૈયાર કરાયા હતા. આજે સવારે ઝોનલ કચેરીથી વાહનો દ્વારા પ્રશ્નપત્ર સહિતનું સાહિત્ય પરીક્ષા કેન્દ્રો પર રવાના કરવામાં આવ્યું છે. પરીક્ષાના પ્રથમ દિવસે જિલ્લા કલેક્ટર, એસપી અને ડીઈઓ શહેરની વિકાસ ગર્લ્સ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને આવકારશે. વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી અને ગુલાબનું ફૂલ આપી પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાશે. આજે ધોરણ 10ના વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયની પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સહકાર પંચાયત અને અર્થશાસ્ત્રના પેપરો લેવાશે, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનની પરીક્ષા યોજાશે. 28 ફેબ્રુઆરીના રોજ, ધોરણ 10ના વિદ્યાર્થીઓ વિજ્ઞાન, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વાણિજ્ય વ્યવસ્થા અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાનની પરીક્ષા આપશે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ સુધી કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. આ કંટ્રોલ રૂમમાં સવારે 7 થી બપોરે 1:30 અને બપોરે 1:30 થી રાત્રે 8 સુધીની બે શિફ્ટમાં મદદનીશ શિક્ષણ નિરીક્ષક, જુનિયર ક્લાર્ક અને પટાવાળા ફરજ બજાવશે. સંવેદન શીલ અને અતિસંવેદન શીલ કેન્દ્ર તકેદારી અને ખાસ તકેદારી સેન્ટરથી ઓળખાશે સુરેન્દ્રનગર જિલ્લામાં જે કેન્દ્રો પર ભુતકાળમાં ચોરીના સહિત બનાવો સામે આવતા હોય તેને સંવેદનશીલ અને અતિ સંવેદન શીલ મથકો તરીકે ઓળખવામાં આવતા હતા. ત્યારે આ વર્ષ બોર્ડ દ્વારા આવા સંવેદનશીલ અતી સંવેદનશીલ મથકો પર પોલીસ બંદોબસ્ત સહિત તરીકે ઓળખાતા ત્યારે આ કેન્દ્રોને તકેદારી અને ખાસ તકેદારીવાળા કેન્દ્રો તરીકે માર્ક કરવામાં આવ્યા છે. તકેદારી કેન્દ્રો થાન 3 તકેદીવાળા અને પાટડી 4, માલવણ 3, રાજસીતાપુર 2 ખાસ તકેદારીવાળા કેન્દ્રો જે બિલ્ડીંગ છેત્યાં પોલીસ તૈનાત કરવામાં આવશે. બોર્ડની પરીક્ષાની વિગત
નવસારીમાં લગભગ 35 હજાર વિદ્યાર્થી બોર્ડ પરીક્ષા આપશે:તમામ 1286 બ્લોક CCTVથી સજ્જ, એક્શન પ્લાન તૈયાર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ-10 (SSC) અને ધોરણ-12 (HSC)ની પરીક્ષાઓ માટે નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગે તૈયારીઓ પૂર્ણ કરી છે. જિલ્લામાં કુલ 34,971 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા વ્યવસ્થા પારદર્શક અને સુચારુ રીતે ચાલે તે માટે નવસારી અને ચીખલી એમ બે મુખ્ય ઝોનમાં આયોજન કરાયું છે. ધોરણ-10 (SSC)ની પરીક્ષા માટે નવસારી જિલ્લામાં કુલ 66 પરીક્ષા સ્થળો ફાળવવામાં આવ્યા છે. જેમાં નવસારી ઝોનમાં 11 કેન્દ્રો પર 10,256 વિદ્યાર્થીઓ અને ચીખલી ઝોનમાં 17 કેન્દ્રો પર 10,148 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આમ, ધોરણ-10માં કુલ 20,404 વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ પરીક્ષાના તમામ 701 બ્લોકમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. ધોરણ-12 (HSC)ની પરીક્ષા માટે પણ નવસારી અને ચીખલી ઝોન કાર્યરત રહેશે. સામાન્ય પ્રવાહમાં કુલ 16 કેન્દ્રો પર 9,546 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં નવસારી ઝોનના 4,720 અને ચીખલી ઝોનના 4,826 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. વિજ્ઞાન પ્રવાહ માટે જિલ્લામાં 5 કેન્દ્રો ફાળવાયા છે, જ્યાં 5,021 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. શિક્ષણ વિભાગના સત્તાવાર આંકડા મુજબ, જિલ્લામાં ધોરણ-12 માટેના તમામ 585 બ્લોક અને ધોરણ-10 ના 701 બ્લોક એમ મળીને કુલ 1,286 બ્લોક સીસીટીવી કેમેરાથી સજ્જ છે. વહીવટી તંત્ર આ વખતે 'ઝીરો ટોલરન્સ' ની નીતિ સાથે ગેરરીતિ અટકાવવા આગળ વધી રહ્યું છે.
ગુજરાતમાં સ્થાનિક સાપના ઝેરથી બનશે એન્ટિવેનમ:સર્પદંશથી થતા મૃત્યુ ઘટાડવા રાજ્ય સરકારની પહેલ
ગુજરાત સરકારે સર્પદંશથી થતા મૃત્યુ ઘટાડવા મહત્વની પહેલ કરી છે. ટૂંક સમયમાં રાજ્યમાં જોવા મળતા ઝેરી સાપના ઝેરમાંથી તૈયાર કરાયેલ એન્ટિવેનમ હોસ્પિટલોમાં ઉપલબ્ધ થશે, જેનાથી સારવાર વધુ અસરકારક બનશે. વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે સ્થાપિત સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SRI) દ્વારા રાજ્યમાં જોવા મળતી ઝેરી સાપની પ્રજાતિઓમાંથી ઝેર એકત્રિત કરીને એન્ટિવેનમ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. હાલમાં સંસ્થામાં આશરે 460 ઝેરી સાપ રાખવામાં આવ્યા છે, જેમની સંભાળ અને ઝેર સંગ્રહ વિશ્વ આરોગ્ય સંસ્થાની માર્ગદર્શિકા મુજબ થાય છે. આ સંશોધન કેન્દ્ર પાસે 3000 સાપ રાખવાની મંજૂરી છે. તાજેતરમાં, સંસ્થાએ ઈન્ડિયન કોબ્રા, કોમન ક્રેટ, રસેલ્સ વાયપર અને સૉ-સ્કેલ્ડ વાયપર જેવી મુખ્ય પ્રજાતિઓના લાયોફિલાઇઝ્ડ (પાવડર સ્વરૂપના) ઝેરની ઈ-હરાજી કરી હતી. ઉચ્ચ ગુણવત્તાને કારણે ધાર્યા કરતાં વધુ કિંમત મળી. અધિકારીઓ અનુસાર, ઈન્ડિયન કોબ્રાના ઝેર માટે પ્રતિ ગ્રામ ₹40,000ની આધાર કિંમત સામે ₹44,000 મળ્યા, જ્યારે સૉ-સ્કેલ્ડ વાયપર માટે ₹50,000ની સામે ₹56,500 પ્રાપ્ત થયા. સંસ્થાના ઉપાધ્યક્ષ ડૉ. ડી.સી. પટેલે જણાવ્યું હતું કે, પ્રદેશ મુજબ સાપના ઝેરમાં ફેરફાર થતો હોવાથી સ્થાનિક ઝેર પરથી બનેલું એન્ટિવેનમ વધુ અસરકારક સાબિત થાય છે. ધરમપુરમાં છેલ્લા 35 વર્ષથી સર્પદંશની સારવારમાં 98 ટકાથી વધુ સફળતા દર નોંધાયો છે. ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન (GFRF) હેઠળ કાર્યરત આ સંસ્થાને વિશ્વ કક્ષાની બનાવવા માટે રાજ્ય સરકાર સમક્ષ ₹11.68 કરોડનો પ્રસ્તાવ રજૂ કરાયો છે. કાયમી કેમ્પસ માટે 2.25 હેક્ટર જમીન પણ ફાળવવામાં આવી છે. કેન્દ્ર સરકારે માર્ચ 2024માં 'નેશનલ એક્શન પ્લાન ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ સ્નેકબાઈટ એન્વેનોમિંગ (NAP-SE)' લોન્ચ કર્યો હતો. ભારત સર્પદંશ નિયંત્રણ માટે રાષ્ટ્રીય કાર્યયોજના જાહેર કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. આ યોજનાનો લક્ષ્ય 2030 સુધીમાં સર્પદંશથી થતા મૃત્યુ અને અપંગતાને 50 ટકા સુધી ઘટાડવાનો છે. સર્પ સંશોધન કેન્દ્ર દ્વારા અત્યાર સુધી 300થી વધુ સાપ રેસ્ક્યુઅર્સ અને 1,495થી વધુ ડોકટરોને તાલીમ અપાઈ છે. 'સ્નેક્સ ઓફ વલસાડ' નામની ફિલ્ડ ગાઈડ અને દસ્તાવેજી ફિલ્મ દ્વારા જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવ્યું છે. ગુજરાતમાં સ્થાનિક સાપના ઝેરથી બનતું એન્ટિવેનમ ઉપલબ્ધ થતાં ગ્રામ્ય વિસ્તારોમાં સર્પદંશની સારવારમાં ક્રાંતિકારી સુધારો થવાની શક્યતા છે.
બોટાદમાં માતૃભાષા સપ્તાહ ઉજવાયું:કવિ સંમેલનમાં જાણીતા કવિઓએ રચનાઓ રજૂ કરી
બોટાદમાં માતૃભાષા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે એક કવિ સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમ 25 ફેબ્રુઆરી, 2026ના રોજ બોટાદ શહેરના પાળીયાદ રોડ પર આવેલી જીવનધારા હોસ્પિટલ ખાતે બપોરે 2 કલાકે યોજાયો હતો. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા આયોજિત માતૃભાષા મહોત્સવ-2026ના ભાગરૂપે માતૃભાષા શિક્ષણ કેન્દ્ર, બોટાદ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવિ સંમેલનમાં અમરેલી શહેરના જાણીતા કવિઓ હરજીવન દાફડા, અગન રાજ્યગુરુ અને હાર્દિક વ્યાસે પોતાની રચનાઓ રજૂ કરી હતી. અમદાવાદના નિવૃત ફોરેસ્ટ ઓફિસર પ્રતાપસિંહ ડાભી 'કવિ હાકલ' પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના આગવા લયમાં ગીતો ગાઈ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમનું સંયોજન ડૉ. સાંગાણી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે શાબ્દિક સ્વાગત પણ કર્યું હતું. ભાવેશભાઈ પરમારે કાર્યક્રમનું સુચારુ રીતે સંચાલન કર્યું હતું. આ પ્રસંગે બોટાદના સાહિત્યરસિક ડોકટરો અને અન્ય ભાવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમનો લાભ લીધો હતો.
સાવરકુંડલા શહેરના જૂના બસસ્ટેન્ડ નજીક આવેલા સેન્ટર પોઈન્ટ કોમ્પ્લેક્સમાં એક દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાને પગલે થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી. જોકે, સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. કોમ્પ્લેક્સમાં આવેલી ટીવી રિપેરિંગની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણે આસપાસના વેપારીઓ અને લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગને કારણે દુકાનમાં રહેલો મોટાભાગનો માલસામાન બળી જતાં મોટું નુકસાન થયું હોવાનું અનુમાન છે. ઉલ્લેખનીય છે કે, સાવરકુંડલા પંથકમાં આગની ઘટનાઓ વધી રહી છે. આ જ દિવસે સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામ નજીક રેવન્યુ જમીનમાં પણ આગ લાગી હતી. આમ, એક જ દિવસમાં આગની આ બીજી ઘટના નોંધાઈ છે.
મલાડમાં ફળો પર ઉંદર મારવાની દવા લગાવતા 2 ફેરિયા ઝડપાયા
જાહેર આરોગ્ય સાથે બેફામ ચેડાં ઃ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ ઉંદરો ફળો ન ખાઈ જાય તે માટે ઝેરી દવા જ ફળો પર લગાવી હોવાની કબૂલાતઃ બંને ફેરિયાઓની દુકાનો સીલ મુંબઈ - મલાડમાં બે વિક્રેતાઓએ ફળમાં ઉંદર મારવાની દવા લગાવીને તેનું વેચાણ કરી રહ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. જેનાથી લોકો માટે ગંભીર સ્વાસ્થ્યનું જોખમ ઊભું થયું હતું. આ મામલે ફરિયાદ મળતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા દુકાન સીલ કરી દીધી હતી અને બે આરોપીઓની ધરપકડ કરી હતી.
આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષાની શરૂઆત થઈ રહી છે. બોર્ડની પરીક્ષાને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આ વર્ષે ધોરણ 10 અને 12ના કુલ 15.27 લાખ જેટલા વિદ્યાર્થીઓ 1701 સેન્ટર પર પરીક્ષા આપવાના છે. જાણો કઈ ગેરરીતિ કરી તો 1થી 3 વર્ષ સુધીની સજા થઈ શકે. જેથી પરીક્ષાર્થી ગેરરીતિમુક્ત વાતાવરણમાં નિર્ભયતાથી પરીક્ષા આપી શકે તે માટેની પણ વ્યવસ્થા દરેક પરીક્ષા કેન્દ્ર પર કરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રની તમામ બિલ્ડિંગ CCTVથી સજ્જ કરવામાં આવી છે. તેમજ તમામ પરીક્ષા સેન્ટર પર આરોગ્ય વિભાગની ટીમ પણ હાજર રહેવાની છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને આ વર્ષે એક કલાકનો સમય વધારે આપવામાં આવશે. પૃથ્થક વિદ્યાર્થીઓ એટલે જે ચોક્કસ બાકી રહેલાં કે જરૂરિયાતના વિષયની પરીક્ષા આપતાં હોય તે. દિવ્યાંગ વિધાર્થીઓને એક કલાકનો વધુ સમય મળશેગુજરાત બોર્ડમાં આ વર્ષે ધોરણ 10 અને 12ના કુલ 15.27 લાખ વિધાર્થીઓ પરીક્ષા આપશે. આ વર્ષે પ્રથમ વખત દિવ્યાંગ વિધાર્થીઓને 3 કલાકના પેપરમાં પ્રતિ કલાક 20 મિનિટનો સમય વધારે આપવામાં આવશે. રાજ્યમાં SSC માટે કુલ 87 ઝોન અને HSC માટે કુલ 59 ઝોનની રચના કરવામાં આવી છે. તેમજ ધોરણ 10 માટે કુલ 1006 કેન્દ્ર અને ધોરણ 12માં કુલ 695 કેન્દ્ર છે જેમાંથી સામાન્ય પ્રવાહમાં 539 કેન્દ્ર અને વિજ્ઞાન પ્રવાહના 156 કેન્દ્રોમાં પરીક્ષા લેવામાં આવશે. આ પણ વાંચો: ધો-10નાં ગણિત-વિજ્ઞાનનાં પેપર માટે ગુરુમંત્ર:આટલું કરી લો... 75% માર્ક્સ ક્યાંય નહીં જાય આ પણ વાંચો: આટલું કરો એટલે 12 સાયન્સના મેઇન 4 સબ્જેક્ટ્સમાં ફુલ માર્ક્સ આ પણ વાંચો:નવી કોઈ તૈયારીમાં પડતા નહીં, અર્થશાસ્ત્રમાં 20 MCQ અડધા કલાકમાં જ ફુલ એન્ડ ફાઇનલ કરી દેજો
અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીની આજે એટલે કે 26 ફેબ્રુઆરીના રોજ સાવારે 7 વાગ્યે ભવ્ય નગરયાત્રા નીકળવાની છે. આ નગરયાત્રાનું પ્રસ્થાન ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી કરાવશે. આ નગરયાત્રામાં માતાજીનો રથ, નાસિક ઢોલ, અખાડાના કલાકારો, ભજન મંડળીઓ અને મોટી સંખ્યામાં વાહનોનો કાફલો જોડાશે. ઉલ્લેખનીય છે કે, 26 ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ છે અને 6.25 કિ.મી. લાંબી નગરયાત્રામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટશે, ત્યારે આ પવિત્ર અવસરે શહેરમાં ટ્રાફિકજામ ન થાય અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. યાત્રાના રૂટ પરના અનેક રસ્તાઓ વાહનો માટે બંધ રહેશે અને વાહન વ્યવહાર સુચારુ ચાલુ રાખવા વૈકલ્પિક રૂટ પણ જાહેર કરવામાં આવ્યો છે. નગરયાત્રાને લઈ સવારના 7 વાગ્યાથી યાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક નિયમો લાગુ રહેશે. આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે BSNની કલમ 223 અને ગુજરાત પોલીસ અધિનિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. ચલિત મૂર્તિ કેમ?મંદિરના ટ્રસ્ટીના જણાવ્યા મુજબ રથયાત્રામાં ભગવાન જગન્નાથજીની રથ પર બિરાજે છે, તે રીતે માતાજીની મુખ્ય મૂર્તિ પ્રતિષ્ઠિત હોવાથી આબેહૂબ ચલિત મૂર્તિ મૂકવામાં આવશે. બે ફૂટ ઊંચાઈની આ મૂર્તિ અમદાવાદના કારીગરોએ તૈયાર કરી છે. 19 ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યે મંદિરના પ્રાંગણમાં ચલિત મૂર્તિને પ્રાણપ્રતિષ્ઠા બાદ મંત્રોચ્ચાર સાથે પ્રસ્થાપિત કરવામાં આવશે. આગામી વર્ષોમાં જેટલી પણ નગરયાત્રા નીકળશે, તેમાં આ ચલિત મૂર્તિ બિરાજમાન હશે. ઈતિહાસકારોના મતે મંદિર મરાઠાકાળમાં બન્યુ, જ્યારે સરકારી ગેઝેટિયરમાં 1411નો ઉલ્લેખ
ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડન્ટ થિયોડોર રૂઝવેલ્ટ નું એક વિધાન છે. કોઇપણ દેશ મજબૂત ના હોઇ શકે, જ્યાં સુધી તેના નાગરિકો બીમાર અને ગરીબ હોય. થિયોડોર રૂઝવેલ્ટનો કાર્યકાળ 1912 દરમિયાન હતો અને આ ઉપરનું વિધાન અને એની પ્રસ્તુતતા ફક્ત અમેરિકા નહીં પણ વિશ્વભરના દેશોને લાગુ પડે છે. શું વિશ્વના કોઇપણ દેશ એવી આરોગ્યવર્ધક સેવાઓ ધરાવે છે કે એના નાગરિકોની તંદુરસ્તી સારી રહે અને એ લોકોને આરોગ્યવર્ધક સેવાઓ પોષાઇ શકે? જવાબ છે કદાચ ના! આદર્શ હેલ્થકેર સિસ્ટમ માત્ર સપનુંબ્રિટન, કેનેડા જેવા નેશનલ હેલ્થ ઇન્સ્યોરન્સ ધરાવતા દેશ હોય, એશિયન દેશો જેવા પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ પોલિસીવાળા દેશો કે પછી કેપિટલિસ્ટ, શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મજબૂત નાણાકીય ચલણ ધરાવતા અમેરિકા જેવા દેશો હોય! આદર્શ હેલ્થકેર સિસ્ટમ સપનું જ છે. અને એમાંય અમેરિકાની આરોગ્યલક્ષી વ્યવસ્થાની ચર્ચા અને ટીકા ભારતની મુલાકાત લો ત્યારે મિત્રો અને સંબંધીઓ પાસેથી અવારનવાર સાંભળવા મળતી જ હોય છે. અમુક અંશે એ લોકો સાચા પણ હોય છે. અમેરિકા તેની મોંઘી સારવારના કારણે ચર્ચામાં રહે છેઅમેરિકન હેલ્થકેર સિસ્ટમ, આધુનિક તકનીક, ઉચ્ચ ગુણવત્તાવાળી સારવાર અને સંશોધન માટે જાણીતી છે. છતાં તે અત્યંત મોંઘી સારવાર, સમાન ભાગે દરેક નાગરિક સુધી પહોંચે છે કે કેમ અને પ્રક્રિયા લગતી (પ્રોસેસ ઓરિએન્ટેડ) ગૂંચવણભરી વ્યવસ્થા જેવા મુદ્દાઓને કારણે ઘણી વખત બીજા દેશો જ નહીં પણ અમેરિકામાં પણ ચર્ચામાં રહે છે. અમેરિકામાં આરોગ્ય સેવાઓ મુખ્યત્વે પ્રાઇવેટ ક્ષેત્ર દ્વારા પૂરી પાડવામાં આવે છે અને સરકાર પણ કેટલીક મહત્વપૂર્ણ યોજનાઓ ચલાવે છે. છતાં અમેરિકન હેલ્થકેર સિસ્ટમ વિશ્વમાં જટિલ આરોગ્ય સિસ્ટમમાંની એક છે. અને જટિલ લાગતાં કારણોમાં છે, પ્રાઇવેટ, સરકારી, આવક આધારિત અને ઉંમર આધારિત મળતા આરોગ્યલક્ષી લાભોમાં અને તેની પહોંચ માટેની પ્રક્રિયા, નિયમો અને જાણકારીનો અભાવ. આરોગ્ય ક્ષેત્રે વિવિધ યોજનાઓઅમેરિકામાં મોટાભાગે આરોગ્ય સેવાઓ ખાનગી હોસ્પિટલ, ક્લિનિક અને ઇન્શ્યોરન્સ કંપની દ્વારા આપવામાં આવે છે. મોટાભાગના લોકો જોબ (એમ્પ્લોયર) દ્વારા કુટુંબ માટે મળતા હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા આવરી લેવાય છે. ઉપરાંત, સરકાર વૃદ્ધો (67 અને એની ઉપરની ઉંમર) અને કેટલીક ખાસ જરૂરિયાત ધરાવતા લોકો માટે Medicare યોજના ચલાવે છે. જ્યારે ઓછી આવક ધરાવતા લોકો માટે Medicaid ઉપલબ્ધ છે. આ ઉપરાંત 2010માં લાગુ કરાયેલા Affordable Care Act (ઓબામા કેર) દ્વારા વધુ લોકોને વીમા કવરેજ આપવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. મેડિકેર, મેડિકાઈડ અને ઓબામા કેરને સમજવા માટે એક આખો અલાયદો લેખ લખવો પડે એમ છે. તમે શ્રેષ્ઠ હાથોમાં છો તેવો અહેસાસ થાયઆમ તો અમેરિકામાં લેટેસ્ટ ટેકનોલોજી ધરાવતા તબીબી સાધનો અને ટ્રેનિંગ પામેલા નિષ્ણાત ડૉક્ટર ઉપલબ્ધ છે. નવી દવા, રસી અને સારવાર પદ્ધતિના વિકાસમાં અમેરિકા વિશ્વના શ્રેષ્ઠ દેશની કેટેગરીમાં આવે છે અને અહીંની હોસ્પિટલ્સમાં એક વખત દાખલ થાવ તો તમને એ અહેસાસ થયા વગર ન રહે કે તમે શ્રેષ્ઠ હાથોમાં છો. છતાં સારવાર, દવાઓ અને હોસ્પિટલ ફી ખૂબ મોંઘી છે. ઇન્શ્યોરન્સ વગર આરોગ્યલક્ષી સેવા મેળવવી ઘણા લોકો માટે અશક્ય બને છે. ઉપરાંત ઇન્શ્યોરન્સ પોલિસી, કવરેજ, ડિડક્ટિબલ અને કો (ઇશ્યોરન્સમાં કવર થાય એ ઉપરાંત ચૂકવવા પડતા ડોલર), પેમેન્ટ જેવી વ્યવસ્થા સામાન્ય લોકો માટે સમજવી મુશ્કેલ છે. આથી ઘણી વખત દર્દીઓને અનપેક્ષિત બિલનો સામનો કરવો પડે છે અને અધૂરામાં પૂરું, ખાનગી અને સરકારી ક્ષેત્ર વચ્ચે કો ઓર્ડિનેશન અને ડોક્યુમેન્ટેશન પ્રક્રિયા માટે વધુ ખર્ચ અને સમય જાય છે. જે સમગ્ર સિસ્ટમને મોંઘી બનાવે છે. હંમેશા શ્રેષ્ઠ સેવાઓ આપવાનો અભિગમસામે સૌથી મોટી ખૂબી કે હકારત્મક બાબત અમેરિકાની અને હેલ્થકેર સિસ્ટમની એ છે કે તમારી પાસે કોઇપણ જાતનો ઇશ્યોરન્સ હોય કે ના હોય તમે સામાજિક આર્થિક અને કાનૂની રીતે જે પણ વર્ગમાંથી આવતા હો એક વખત અહીંની હોસ્પિટલમાં જાવ તો તમને કંઇ પણ પૂછ્યા વગર હોસ્પિટલ અને એના સ્ટાફનો અભિગમ તમારી જિંદગી બચાવવા આપવી પડતી શ્રેષ્ઠ સેવાઓ આપવાનો રહેશે. અમેરિકન સરકાર અને નાગરિકો માટે આરોગ્યલક્ષી સેવાની ઉપલબ્ધી અને સરળ પ્રક્રિયા જેવા બે મોટા પડકારો છે અને એના પર સતત કામ ચાલતું હોય છે પણ જિંદગીની વેલ્યુ છે અહીં એ અહેસાસ પણ જેવો તેવો નથી. કહે છે ને કોઇપણ દેશ શ્રેષ્ઠ નથી હોતો એને શ્રેષ્ઠ બનાવવો પડે છે. એમ અમેરિકન હેલ્થકેર સિસ્ટમ પણ Work in progress છે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
અમદાવાદથી અંદાજે વીસેક કિલોમીટર દૂર જેતલપુર ગામના ખેડૂતોની વિશાળ જમીન પર આંખોને આંજી દે તેવું એક આખું નગર ઊભું થયું છે. જેનું નામ અવસર નગર છે. ભગવાન સ્વામિનારાયણે જીવનકાળ દરમિયાન પોતાના હાથે સ્થાપેલા 9 મંદિરમાંના પાંચમા મંદિરની સ્થાપના જેતલપુરમાં કરી હતી. આ મંદિરને 200 વર્ષ પૂર્ણ થઇ રહ્યાં છે. જેના ભાગરૂપે 5 માર્ચથી 11 માર્ચ દરમિયાન અવસર નગરમાં દ્વિશાતબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે. જેમાં 18 દેશના લાખો ભક્તો આવશે. અવસર મહોત્સવમાં ભક્તિભાવની સાથે સાથે ગ્લો ગાર્ડન અને ફ્લાવર શોનું અનોખું પ્રદર્શન પણ લોકોને અચંબિત કરી નાંખશે. 550 વીઘામાં પથરાયેલા આ વિશાળ અવસર નગરમાં શું-શું જોવા મળશે? અહીં સુધી કેવી રીતે પહોંચી શકાશે? પાર્કિંગની વ્યવસ્થા કેવા પ્રકારની હશે? એ અંગે દિવ્ય ભાસ્કરે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પાસેથી માહિતી મેળવીને ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો છે. 9 મંદિરની આબેહુબ પ્રતિકૃતિકુલ 550 વીઘા જમીનમાં કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં 400 વીઘામાં મહોત્સવ ઉજવાશે જ્યારે 150 વીઘા જમીનમાં વિશાળ પાર્કિંગ હશે. એટલું જ નહીં અહીં ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે સ્થાપના કરેલા નવે નવ મંદિરની આબેહુબ પ્રતિકૃતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે. જેથી ભક્તોને એક જ સ્થળ પર બધા જ મંદિરના દર્શનનો લાભ મળી શકે. એક દિવસમાં 3 લાખ લોકો આવવાનો અંદાજઅમદાવાદના નારોલ-જેતલપુર હાઇવે પર અસલાલીથી આગળના બ્રિજ પરથી ડાબી તરફ વળતાં જ મહોત્સવનો રસ્તો આવશે. આ રસ્તા પર અંદાજે અડધો કિલોમીટર જતાં મહોત્સવ સ્થળ આવી જશે. અવસર નગરમાં નેશનલ હાઇવે, એસ.પી. રિંગ રોડ અને જેતલપુર ગામ એમ ત્રણ જગ્યાએથી પ્રવેશ કરી શકાશે. અહીં દિવસ દરમિયાન ત્રણેક લાખ લોકો આવવાનો અંદાજ હોવાના કારણે જેતલપુર ગામ તરફથી આવનારા માટે 5500 કારની ક્ષમતા, રિંગ રોડથી આવનારા માટે 1500 કારની ક્ષમતા અને નેશનલ હાઇવે તરફથી આવનારા માટે 2000 કારની ક્ષમતાવાળું પાર્કિંગ તૈયાર કરાયું છે. પાર્કિંગમાં ટાવર ઊભો કરાશે. જેમાં પાર્ક કરાયેલા વાહનો પર સ્વયંસેવકો દૂરબિનથી અને CCTVથી નજર રાખશે. ફોર વ્હીલર પાર્કિંગ માટે ટોકન અપાશે. આ ટોકન પાછું આપ્યા પછી જ કારને બહાર કાઢવા દેવામાં આવશે તેવું પણ પ્લાનિંગ થઇ રહ્યું છે. એક એક ખૂણા પર નજર રહે તે માટે આખા નગરમાં 450 કરતાં વધારે CCTV કેમેરા લગાવશે. પ્રવેશ માટે 2 ગેટનગરમાં પ્રવેશ માટે VVIP, મુખ્ય અતિથિઓ અને ભક્તો માટે 2 ગેટ તૈયાર કરાયા છે. જેમાં મુખ્ય ગેટને પવિત્ર બદ્રીનાથ ધામની થીમ પર તૈયાર કરાયો છે. જ્યારે બીજો ગેટ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગેટ જેવો જ આબેહુબ તૈયાર કરાયો છે. જેની બહાર ફાઉન્ટેન પણ મૂકવામાં આવશે. કઇ જગ્યાએ શું જોવા મળશે?જ્યારે તમે બદ્રીનાથ મંદિરની પ્રતિકૃતિવાળા ગેટથી અંદર પ્રવેશ કરશો એટલે ડાબી બાજુએ ગૌશાળા દેખાશે. અહીં ગાયોનો ઉછેર કેવી રીતે કરવો જોઇએ સાથે જ ગાયો મનુષ્યના જીવનમાં કેવી રીતે ઉપયોગી છે તે વિશેની માહિતી આપતું પ્રદર્શન ઊભું કરાયું છે. અહીંથી થોડે આગળ જતાં એક વિશાળ ફ્લાવર શો જોવા મળશે. જેમાં 2 લાખ 50 હજાર ફૂલોની મદદથી ધાર્મિક પ્રતીકો તૈયાર કરાયા છે. ભાવિ અને હાલની પેઢીમાં વૃક્ષો અને પર્યાવરણ અંગેની જાગૃતિ આવે તે માટે તેમની પાસે 10 વૃક્ષો વાવવાનો સંકલ્પ પણ લેવડાવાશે. અહીં 200 ફૂટ બાય 200 ફૂટ પહોળી અને 100 ફૂટ ઊંચી એક ભવ્ય યજ્ઞ શાળા તૈયાર કરાઇ છે. જેમાં એક સાથે 200 કુંડમાં યજ્ઞ થશે. 4 વેદની 4 અલગ-અલગ યજ્ઞ શાળા તૈયાર કરવામાં આવી છે. આમ પૌરાણિક અને વૈદિક યજ્ઞ શાળાનો સમન્વય અહીં જોવા મળશે. એકસાથે 30 હજાર લોકો જમી શકે તેવી વ્યવસ્થાઅવસર નગરમાં 25 વીઘામાં ધર્મશાળા ઊભી કરાઇ છે. જેમાં સ્વયંસેવકો અને બહારગામથી આવેલા યાત્રિકો રહી શકે તે માટેની વ્યવસ્થા છે. એક સાથે 10 હજાર લોકો રહી શકે તેવી સુવિધા ઊભી કરાઇ રહી છે. 50 વીઘામાં 15 વિશાળ ડોમ તૈયાર કરાયા છે. જેમાં ભોજનાલય પણ છે. અહીં એક ડોમમાં એક સાથે 2 હજાર ભક્તો ભોજન પ્રસાદી લઇ શકે તેવી વ્યવસ્થા છે. જેથી એકસાથે 30 હજાર લોકો ભોજન કરી શકશે. ભોજન તૈયાર કરવા માટે 400 બાય 300 ફૂટનું 160 ચુલાવાળું મેગા કિચન તૈયાર કરાયું છે. અખંડ ધૂન માટે પણ એક ડોમ તૈયાર કરાયો. જેમાં બેસીને ભક્તો ભજન ગાઇ શકશે અને નાચી પણ શકશે. ભગવાન સ્વામિનારાયણના કાર્યોનું પ્રદર્શનઅહીં કુલ 6 ડોમમાં સ્વામિનારાયણ ભગવાને જેતલપુરમાં કરેલી ધાર્મિક ક્રાંતિનું પ્રદર્શન પણ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ભગવાને દૂર કરેલા કુરિવાજો અને દરેક સમાજને સાથે લઇને ચાલ્યાં હતા તેનું એક વિશાળ પ્રદર્શન હશે. જેની સાથે 50 બાય 10 ફૂટનું મોટું પેઇન્ટિંગ તૈયાર કરાયું છે. આ ઉપરાંત સ્ટોર રૂમ, પાણીની વ્યવસ્થા માટે દરરોજ 4 લાખ લીટર પાણી પ્યુરિફાઇ અને ઠંડુ કરી આપે તેવા RO પ્લાન્ટ ઊભા કરાશે. 10 બેડની હોસ્પિટલ ઊભી કરાઇલાખોની સંખ્યામાં ભક્તો આવવાના હોવાથી અહીં 10 બેડની હોસ્પિટલ પણ કાર્યરત કરવામાં આવશે. જેમાં પ્રાઇમરી ચેકઅપથી લઇને પ્રાથમિક ટ્રીટમેન્ટ રહે તે માટે દરેક રોગના નિષ્ણાત ડોક્ટર્સ પણ હાજર રહેશે. નગરમાં એક મોટો પરિસંવાદ હોલ પણ તૈયાર કરાયો છે. જ્યાં જુદા જુદા નિષ્ણાતો અલગ અલગ વિષય પર પરિસંવાદ કરશે. આ ઉપરાંત સ્પર્ધાઓ પણ યોજાશે અને વિજેતાને સર્ટિફિકેટ પણ અપાશે. કથા મંડપમાં એકસાથે 20 હજાર લોકો બેસી શકશેનગરમાં એક મુખ્ય કથા મંડપ પણ તૈયાર કરાયો છે. જેમાં સંતો મહંતો અને આમંત્રિત મહેમાનો પ્રવચન કરશે. આ મંડપમાં એક સાથે 20 હજાર લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. 52 કમિટિએ રાત-દિવસ મહેનત કરીજેતલપુરની ધરતી પર એક અઠવાડિયા સુઘી ચાલનારા આ કાર્યક્રમનું નામ વજેન્દ્ર પ્રસાદે રાખ્યું છે. નગરનું પ્લાનિંગ અને આયોજન વજેન્દ્ર પ્રસાદના નેતૃત્વમાં 40 સંતોએ કર્યું હતું. જેના પછી 4 સંત અને 10 ભક્તોની એક એવી કુલ 52 કમિટિ તૈયાર કરાઇ હતી. ઉત્સવની જાહેરાત થયા બાદ તેની ઉજવણી માટે સંતોએ સ્થળની શોધખોળ શરૂ કરી હતી. જે દરમિયાન જેતલપુર ગામના લોકોએ પોતાની જમીન પર આ કાર્યક્રમ યોજવા માટે રજૂઆત કરી હતી. જેથી આ સ્થળની પસંદગી કરાઇ છે. આ માટે 104 થી વધુ ખેડૂતોએ અડધા વીઘાથી લઇને 50-50 વીઘા સુધીની જમીન કાર્યક્રમ માટે મફતમાં આપી દીધી છે. 8 વર્ષથી રોડનો વિવાદ હતોસૌથી અગત્યની વાત તો એ હતી કે રિંગ રોડથી કાર્યક્રમ સ્થળ સુધી પહોંચવાના રસ્તે ટીપી સ્કીમ હેઠળ રોડ બન્યો હતો પણ 1 કિલોમીટરનો રોડ બનવાનો બાકી હતો. છેલ્લા 8 વર્ષથી આ રોડનો વિવાદ ચાલતો હતો કેમ કે સ્થાનિક ખેડૂતો આ જગ્યાનો કબજો ઔડાને આપતાં નહોતા. જો કે, આ કાર્યક્રમ માટે આ ખેડૂતોએ પોતાનો હક જતો કરીને વિવાદ વગર જમીન પર રસ્તો બનાવવાની મંજૂરી આપી. જેથી માત્ર 3 મહિનામાં રોડ તૈયાર થઇ ગયો. ખેડૂતોને જમીન પાછી અપાશેખેડૂતોએ આપેલી આ જમીન પર આજે કોઇ મુલાકાત લે તો એવો જરા પણ અંદાજો ન આવે કે આ કાર્યક્રમ ખેતર પર થઇ રહ્યો છે. મહોત્સવ પૂર્ણ થઇ ગયા પછી ખેડૂતોને તેમની જમીન જેવી હતી તેવી જ પાછી આપવામાં આવશે. કોઇને એકપણ ઇંચ જમીન ઓછી ન મળે તે માટે સંતોએ જમીનનો ડ્રોન અને ફિઝિકલ ખૂંટ એમ 2 રીતે સર્વે કરાવ્યો હતો. સાત સમુદ્ર પારથી ભક્તો આવશેઅવસર નગરની એક ઝલક જોવા માટે અને સેવા આપવા માટે સાત સમુદ્ર પારથી એટલે કે 18 દેશના ભક્તો અહીં આવવાના છે. જેમાં અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, યુકે, જર્મની સહિત યુરોપના આઠેક દેશ, સિંગાપોર, મલેશિયા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, ફિઝી, કેન્યા, કંપાલા, સાઉથ આફ્રિકા, કોંગો જેવા દેશોના શ્રદ્ધાળુઓ હશે. આ ઉપરાંત ખાડી દેશોમાંથી પણ ભક્તો મોટી સંખ્યામાં આવશે. ભક્તિ ભાવના આ ઉત્સવ દરમિયાન લોકોમાં પર્યાવરણ માટેની જાગૃતિ આવે તે માટેનો સંકલ્પ કરાયો છે. જેના ભાગરૂપે દર પૂનમે મંદિરે આવતાં ભક્તોને ફૂલ છોડ આપવામાં આવ્યાં હતા. ગામડે ગામડે જઇને ધૂન યોજીનરનારાયણ દેવના પીઠાધિપતિ આચાર્ય કોશલેન્દ્ર પ્રસાદ અને મોટા મહારાજ તેજેન્દ્ર પ્રસાદના માર્ગદર્શનમાં ભાવિ આચાર્ય વજેન્દ્ર પ્રસાદના અધ્યક્ષસ્થાને દ્વિશાતબ્દી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાશે. જેના માટેની તૈયારીઓ છેલ્લા 1 વર્ષથી શરૂ કરી દેવામાં આવી હતી. આ સાથે જ સભાઓ કરીને 200 કલાકની અખંડ ધૂન પણ કરવામાં આવી હોવાનું જેતલપુરના પુરૂષોત્તમ પ્રકાશ (પી.પી.) સ્વામીએ જણાવ્યું હતું. મંદિર સાથે જેટલા પણ ગામડાંઓ જોડાયેલા છે ત્યાં જઇ જઇને સભાઓ કરવામાં આવી હતી અને 200-200 કલાકની અખંડ ધૂન પણ યોજાઇ હતી. આ ઉપરાંત બીજા 500 જેટલા ગામોમાં જઇને 200 મિનિટની ધૂન કરાઇ હતી. જેતલપુર મંદિરનો ઇતિહાસભગવાન સ્વામિનારાયણે જેતલપુર ગામને કર્મભૂમિ બનાવ્યું હતું. ભૂતકાળમાં આ ગામ જતીલપુર તરીકે ઓળખાતું હતું. ભગવાન સ્વામિનારાયણે પોતાના હાથે અહીં રેવતી બળદેવજીની સ્થાપના કરી છે. ઇ.સ.1826માં અહીં 3 માળનું મંદિર બન્યું હતું. જેને 3 શિખરો અને 2 નાના શિખરો છે. મંદિરમાં અદભૂત કલાકૃતિ કરાઇ છે. મંદિરના મુખ્ય ખંડમાં રેવતી, બળદેવજી અને હરિકૃષ્ણ મહારાજની પ્રતિમા છે. જ્યારે મંદિરના પાછળના ભાગે ઘનશ્યામ મહારાજનું મંદિર છે. તેજેન્દ્ર પ્રસાદે તેની સ્થાપના કરી હતી. મંદિર પરિસરમાં 3 માળનો સભા મંડપ પણ છે. અમદાવાદ, મૂળી, ભુજ, વડતાલ,જેતલપુર, ધોલેરા, ધોળકા, જૂનાગઢ,ગઢપુર (ગઢડા) આ જગ્યાએ ભગવાન સ્વામિનારાયણે મંદિરોની સ્થાપના કરી હતી.
મ્યુનિ. શિક્ષણ માટે 4248 કરોડનું બજેટઃ 292 કરોડનો વધારો
સાયન્સ પાર્ક, એસ્ટ્રો લેબ, સાયબર સાક્ષરતા માટે જોગવાઈ 19 હજાર બાળકોને ટેબ્સ અપાશેઃ પરાંની શાળાઓમાં સીસીટીવી કેમેરા લાગશે મુંબઈ - મુંબઈ મહાનગરપાલિકામાં શિક્ષણ વિભાગનું અલગ બજેટ આજે સવારે શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેશ્રી શિરવાડકર સમક્ષ એડિશનલ કમિશનર અવિનાશ ઢાકણે દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટ રૃ. ૪૨૪૮.૦૮ કરોડનું છે, જે વર્તમાન શૈક્ષણિક વર્ષની સરખામણીમાં લગભગ રૃ.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈઝરાયેલ પ્રવાસ સાથે જોડાયેલા રહ્યા. પીએમ નેતન્યાહુએ તેમને એશિયાનો સિંહ ગણાવ્યા. બીજા મોટા સમાચાર NCERTના એક પુસ્તક પર CJIની નારાજગીને લઈને રહ્યા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. કેનેડાના વડાપ્રધાન માર્ક કર્ની ભારત પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ PM મોદી સાથે મુલાકાત કરશે. 2. ગૃહ મંત્રી અમિત શાહ બિહાર પ્રવાસે રહેશે. અહીં તેઓ ભારત-નેપાળ સરહદ સુરક્ષાની સમીક્ષા કરશે. કાલના મોટા સમાચારો 1. ઇઝરાયલી સંસદમાં મોદીએ હમાસ હુમલાની નિંદા કરી:કહ્યું- અમે તમારું દુઃખ સમજીએ છીએ, ભારત પણ લાંબા સમયથી આતંકવાદથી પીડાઈ રહ્યું છે PM નરેન્દ્ર મોદી બે દિવસના ઇઝરાયલ પ્રવાસે છે. ઇઝરાયલી સંસદને સંબોધતા તેમણે ઇઝરાયલ પર હમાસના હુમલાની નિંદા કરી. મોદીએ કહ્યું, 'અમે તમારું દુઃખ સમજીએ છીએ, ભારત લાંબા સમયથી આતંકવાદથી પીડાય છે.' તેમણે કહ્યું કે ભારત હવે અને ભવિષ્યમાં સંપૂર્ણ વિશ્વાસ સાથે ઇઝરાયલ સાથે ઉભું છે. મોદીએ કહ્યું કે કોઈપણ કારણોસર નાગરિકોની હત્યાને વાજબી ઠેરવી શકાય નહીં, અને આતંકવાદને કોઈપણ સંજોગોમાં વાજબી ઠેરવી શકાય નહીં. મોદી નેસેટને સંબોધન કરનારા પહેલા ભારતીય વડાપ્રધાન છે. સંસદમાં પહોંચ્યા પછી સાંસદોએ ઉભા થઈને તાળીઓ પાડીને મોદીનું સ્વાગત કર્યું અને મોદી, મોદી!ના નારા લગાવ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 2. 'જ્યુડિશિયલ કરપ્શન' ચેપ્ટરવાળી NCERT બુકના વેચાણ પર પ્રતિબંધ:CJIએ કહ્યું હતું, કોઈને પણ ન્યાયતંત્રને બદનામ કરવાની મંજૂરી નથી; હું પોતે આ કેસની તપાસ કરીશ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતના ભારે વાંધાને પગલે જ્યુડિશિયલ કરપ્શન ચેપ્ટરવાળી NCERT બુક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. NCERTનાં સૂત્રોએ સમાચાર એજન્સી ANIને આ વાતની પુષ્ટિ કરી. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે આ વિભાગ લખવો જોઈતો ન હતો અને આવાં પાસાને પ્રકાશિત કરવાં અયોગ્ય છે. સરકારનો દાવો છે કે બાળકોનાં પુસ્તકોમાં પ્રેરણાદાયી વસ્તુ હોવી જોઈએ. CJI સૂર્યકાંતે બુધવારે આ મુદ્દા પર પોતાની નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું, દુનિયામાં કોઈને પણ ન્યાયતંત્રને બદનામ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ એક સારી રીતે વિચારીને લેવાયેલો નિર્ણય લાગે છે. હું આ કેસ જાતે જ સંભાળીશ. વાંચો સંપૂર્ણ સમાચાર 3. 'હું વચ્ચે પડ્યો ન હોત તો પાકિસ્તાની PM માર્યા જાત':ભારત-પાક યુદ્ધ પર ટ્રમ્પનો ઘટસ્ફોટ, કહ્યું- મેં પરમાણુ યુદ્ધ રોકાવ્યું અને કરોડો લોકોના જીવ બચાવ્યા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી સંસદ (કોંગ્રેસ)માં પોતાના બીજા કાર્યકાળનું બીજું ‘સ્ટેટ ઑફ ધ યુનિયન’ સંબોધન આપ્યું. આ દરમિયાન તેમણે દાવો કર્યો છે કે 2025ના ભારત-પાકિસ્તાન લશ્કરી તણાવ દરમિયાન તેમના રાજદ્વારી હસ્તક્ષેપથી પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફનો જીવ બચ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે જો તેમણે દરમિયાનગીરી ન કરી હોત તો પરિસ્થિતિ અત્યંત ગંભીર બની શકી હોત. તેમનો દાવો છે કે એ સમયે પરિસ્થિતિ પરમાણુ સંઘર્ષ તરફ આગળ વધી રહી હતી અને તેમની વાટાઘાટોથી 35 મિલિયન લોકોના જીવ બચી ગયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 4. અમેરિકામાં બરફીલા તોફાનને કારણે 11 હજાર ફ્લાઇટ્સ રદ:5 લાખ ઘરોમાં વીજળી ગુલ, 153 વર્ષમાં પહેલીવાર ન્યૂઝપેપર છપાયા નહીં અમેરિકામાં ભયંકર તેજ પવનો અને ભારે હિમવર્ષાને કારણે એરપોર્ટ પર રનવે બંધ કરવા પડ્યા અને ઘણી જગ્યાએ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવો પડ્યો છે. અહીં રવિવારથી મંગળવારની વચ્ચે 11,055થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી. માત્ર સોમવારે જ લગભગ 5,600 થી 5,700 ફ્લાઇટ્સ રદ થઈ, જે દેશભરની ફ્લાઇટ્સના લગભગ 20% હતી. આ માહિતી ફ્લાઇટ ટ્રેકિંગ કંપની ફ્લાઇટઅવેર દ્વારા આપવામાં આવી. નેશનલ વેધર સર્વિસ અનુસાર, રોડ આઇલેન્ડ અને મેસેચ્યુસેટ્સના કેટલાક ભાગોમાં લગભગ 37 ઇંચ સુધી બરફ પડ્યો. હિમવર્ષાને કારણે ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં 6 લાખથી વધુ ઘરોની વીજળી ગુલ થઈ ગઈ. સોમવાર સાંજ સુધીમાં 5 લાખ 19 હજાર 232 ઘર અને ઓફિસો વીજળી વગરના હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 5. VIROSH વેડિંગ: હલ્દી સેરેમનીનો PHOTO સામે આવ્યો:મ્યૂઝિક પાર્ટીમાં કપલે હાથમાં હાથ નાખી એન્ટ્રી કરી, કપલ ડાન્સની પણ ચર્ચા; કાલે એક દિ'માં બે પરંપરાથી લગ્ન ઉદયપુરમાં એક્ટર વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંદાનાની આજે મહેંદીની વિધિ થશે. સાંજે સંગીતનો કાર્યક્રમ યોજાશે. આ ખાસ અવસર માટે 'મોમેન્ટોસ એકાયા' હોટલને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવી છે. બંને 26 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાશે. લગ્નમાં બંને પરિવારના સભ્યો અને કેટલાક ખાસ મહેમાનો જ હાજર રહેશે. લગ્ન કરાવવા માટે પંડિતો પણ આજે ઉદયપુર પહોંચી ગયા છે. જ્યારે ફિલ્મ-પ્રોડ્યુસર-ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા પણ પહોંચ્યા છે. તેમની તેલુગુ ફિલ્મ 'અર્જુન રેડ્ડી'માં વિજય દેવરાકોંડા મુખ્ય ભૂમિકામાં હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 6. મે મહિનામાં વાગશે ચૂંટણીના ઢોલ!:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તૈયારીઓ તેજ, મતદાન મથક, કર્મચારી નિમણૂંક અને EVMની ચકાસણી સહિતની પ્રક્રિયા શરૂ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી હવે મે મહિનાના મધ્યકાળમાં યોજાઈ શકે છે તેવી શકયતા પ્રબળ બની રહી છે. અંતિમ મતદાર યાદી તૈયાર થઈ જતાં ચૂંટણી યોજવા માટેનો માર્ગ હવે લગભગ મોકળો થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા-મહાનગરપાલિકાની ખાલી પડેલી બેઠકો માટે મતદાન પ્રક્રિયા મે મહિનાના બીજા અથવા ત્રીજા સપ્તાહમાં યોજાઈ શકે છે. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓને વેગ આપવામાં આવ્યો છે. જિલ્લા કક્ષાએ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને મતદાન મથકોની યાદી, કર્મચારીઓની નિમણૂંક તથા ઈવીએમ મશીનોની ચકાસણી સહિતની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. એલર્ટ! ટ્રાફિક-પોલીસનાં ધાડાં રસ્તા પર ઊતર્યાં:નિયમ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે, અકસ્માતોની સંખ્યા વધતાં આજથી 10 માર્ચ સુધી રાજ્યમાં ટ્રાફિક ડ્રાઇવ જો આજથી તમે હેલ્મેટ વિના, નંબરપ્લેટ વિનાની ગાડી, કાળા કાચવાળી ગાડી અથવા રોંગ સાઈડમાં વાહન ચલાવતા હોય તો પોલીસ તમારી સામે કાર્યવાહી કરશે, કારણ કે 25 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી રાજ્યમાં માર્ગ અકસ્માત ઘટાડવા માટે ખાસ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવા માટે રાજ્ય પોલીસવડા કે.એલ.એન.રાવ દ્વારા તમામ પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસવડાને સૂચના આપવામાં આવી છે. જેથી આજથી ટ્રાફિક-પોલીસ અને સ્થાનિક પોલીસની ટીમો રોડ ઉપર ઊતરી ટ્રાફિકના નિયમોના ભંગ કરનારા વાહનચાલકો સામે કાર્યવાહી કરશે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : બોયફ્રેન્ડની સામે 7 લોકોએ મહિલા પર બળાત્કાર કર્યો:10 હજાર ટ્રાન્સફર કરાવ્યા, આસામમાં 2ની ધરપકડ; એક આરોપીના પરિવારે પત્રકાર પર હુમલો કર્યો વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ભારતીય સોલર પેનલ પર અમેરિકાએ 126% ડ્યુટી લગાવી:કહ્યું- ચીન ભારત દ્વાર સસ્તા ઉત્પાદનો મોકલી રહ્યું છે, ઇન્ડોનેશિયા પર 143% ટેક્સ લગાવ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : 30 હજારની લાંચે કરોડોના કૌભાંડનો ભાંડો ફોડ્યો:ડેપ્યુટી ડાયરેક્ટરના ઘરેથી 4.27 કરોડ રોકડા મળ્યા, સૂટકેસ-ટ્રોલી બેગ અને કબાટમાં રૂપિયા જ રૂપિયા વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : અમેરિકાના ન્યુક્લિયર એરક્રાફ્ટ કેરિયરના શૌચાલય જામ:45 મિનિટ લાઈનમાં ઊભા રહેવું પડે છે, સમારકામ મુદ્દે ટેકનિશિયન અને સૈનિકો વચ્ચે ઝપાઝપી વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : અનિલ અંબાણીને બે દિવસમાં બીજો ઝટકો:EDએ 17 માળનું ઘર જપ્ત કર્યું, કિંમત 3716 કરોડ રૂપિયા; 40,000 કરોડના ફ્રોડ કેસમાં કાર્યવાહી વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : પાકિસ્તાનની સેમિફાઈનલમાં પહોંચવાની આશા સાવ ધૂંધળી:ક્વોલિફિકેશન માટે બીજાની હાર-જીતની પ્રાર્થના કરવી પડશે, જાણો બાકીની ટીમનાં સમીકરણો શું છે? વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : મંગળનું ગોચર, કુંભ રાશિમાં પંચગ્રહી યોગ:મેષ રાશિના લોકો પર ધનવર્ષા, તુલાના જાતકોને સફળતા; વૃષભ-કર્કના જાતકોએ 2 એપ્રિલ સુધી સાવધ રહેવું વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ ગાય ચરાવવા માટે મળશે 10 હજાર રૂપિયા રાજસ્થાનમાં શિક્ષણ મંત્રી મદન દિલાવરે ‘ગામ ગ્વાલા યોજના’ની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ એક ગોવાળને આશરે 70 ગાયો ચરાવવાની રહેશે. તેના બદલામાં તેને દર મહિને 10 હજાર રૂપિયાનો પગાર આપવામાં આવશે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: ઈરાન પર હુમલો કરવા ગયેલા USS જેરાલ્ડ ફોર્ડનું ટોયલેટ જામ; દુનિયાનું સૌથી મોંઘુ યુદ્ધજહાજ નકામું થઈ જશે? 2. જે રસોડામાં રસોઈ બનતી ત્યાં જ પતિની લાશ દાટી દીધી: પત્નીએ પ્રેમી સાથે મળી કાવતરું ઘડ્યું, એક ફોન આવ્યો ને ભાંડો ફૂટી ગયો 3. ભાસ્કર એક્સક્લૂસિવ : કેવું છે દેશનું સૌથી મોટું ડિટેન્શન સેન્ટર: દલાલને 6-6 હજાર આપીને ભારત આવ્યા, 34 હજારમાં વેચાઈ બાંગ્લાદેશની સૂફી 4. પારકી પંચાત : ‘કંઈ ના થાય’ બોલ્યા ને પથ્થરનો ઘા આવ્યો: જિગીષા પટેલ પર હુમલો પોલિટિકલ સ્ટંટ હતો?; બોઇલ્ડ ભાજી ખાઈ CM બોલ્યા, ‘ટેસ્ટ જાળવી રાખ્યો છે હોં’ 5. Editor's View: કોંગ્રેસના ટીશર્ટ પર 'દેશદ્રોહ'નું ટેગ: વિરોધને દબાવ્યો તો વિસ્ફોટ થયો, એપસ્ટીન મુદ્દે સરકારનું મૌન; લોકશાહીને લાંછન લગાવતી ઘટનાનું ઈનડેપ્થ એનાલિસિસ કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ:મેષ અને કુંભ જાતકોની મહેનત સફળતાના દ્વાર ખોલશે, વૃષભ અને મીન જાતકોનું દાંપત્ય જીવન સુખી રહેશે વાંચો સંપૂર્ણ રાશિફળ
કાર્યવાહી:બુટલેગર ગેંગનો ફરાર લીડર ગાંધીગ્રામના શખ્સની ધરપકડ
જૂનાગઢના ગાંધીગ્રામમાં રહેતો બુટલેગર રવિ હમીરભાઈ ભારાઈની 6 શખ્સની ગેંગ વિરુધ્ધ ક્રાઈમ બ્રાન્ચે ગઇ તા. 11 ડિસેમ્બરે શીલ પોલીસ સ્ટેશનમાં ગુજસીટોકનો ગુનો દાખલ કરાવ્યો હતો. રવિ ભારાઈએ તેના 5 સાગરીત સાથે દિવ દમણ, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, પંજાબ અને ગોવા રાજ્યમાંથી વિદેશી દારૂની હેરફેર માટે ખોટા દસ્તાવેજ બનાવી આર્થિક ગુના આચરતી ટોળકી બનાવી હતી અને વિદેશી દારૂની આયાત માટે ટ્રક સહિતના વાહનના એન્જિન, ચેસીસ નંબર સાથે ચેડા કરી બોગસ ટ્રાન્સપોર્ટ, જીએસટી બિલ બનાવી આર્થિક સહિત 65 જેટલા ગુના જૂનાગઢ સહિત 6 જિલ્લામાં આચર્યા હતા. કેસમાં તાલાલાનો વિપુલ ઉર્ફે પૂંજો રામભાઈ ઉર્ફે રમણ ખાંભલા, રૂદલપુરનો રાજુ ખેતાભાઇ કરમટા, પોરબંદરના કાટવાણા ગામનો મના કાનાભાઈ કટારા અને તાલાલાનો રામા નારણ ચોપડાની પોલીસે અટક કરી હતી. ગેંગ લીડર રવિ હમીરભાઈ ભારાઈ ગુનો નોંધાયા બાદ નાસતો ફરતો હતો. દરમ્યાન બુધવારે તપાસનીશ ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ આરોપી રવિ ભારાઈની ધરપકડ કરી હતી અને ગુરુવારે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર મેળવાશે.
ઠગાઈ:ખરીદેલ વસ્તુ રિટર્ન કરવા જતાં યુવક સાથે 59,500ની છેતરપિંડી
શહેરમાં જલારામ સોસાયટીમાં રહેતા અને ગ્લોબલ યુનિવર્સિટી ખાતે એકાઉન્ટ ક્લાર્કની નોકરી કરતા 30 વર્ષીય રવિ શરદભાઈ રાજપુરા ગઈ તારીખ 7 સપ્ટેમ્બરના રોજ સાંજના પોતાના ઘરે હતા ત્યારે તેની માતા માટે મંગાવેલી બંગડી પસંદ ન આવતા તેને પરત કરવા માટે ગૂગલ પરથી કસ્ટમર કેરનો નંબર શોધ્યો હતો. આ દરમિયાન સામેથી આવેલા એક અજાણ્યા કોલ દ્વારા ઠગબાજે પોતાની ઓળખ શોપ્સીના પ્રતિનિધિ તરીકે આપી હતી. વિશ્વાસમાં લઈને શખ્સે યુવકને તેના મોબાઈલમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી અને ઓર્ડર રિફંડના બહાને ઓટીપી મેળવી લીધો હતો. ત્યારબાદ, યુવાનના બેંક ખાતા સાથે જોડાયેલા પેટીએમ મારફતે અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂપિયા 59,500 ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા. છેતરપિંડીનો અહેસાસ થતાં રવિભાઈએ તુરંત બેંકમાં જાણ કરી ખાતું બ્લોક કરાવ્યું હતું અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ફરિયાદ:પતિએ મારપીટ કરી પરિણીતાને ઘરમાંથી કાઢી મુકી
અવાણીયા ગામની પરિણીતાને સાસુ-સસરાની ચડામણીથી પતિએ મારપીટ કરી પરિણીતાને ઘરમાંથી કાઢી મુકી હોવાની ફરિયાદ થતા માળીયા પોલીસે તપાસ હાથ ધરી હતી. હાલ માળીયા હાટીના તાલુકાના અવાણીયા ગામે પિયરમાં રહેતા 21 વર્ષીય અભિક્ષાબેનના લગ્ન મૂળ કેશોદ તાલુકાના કરેણી ગામના હાલ રાજકોટના શાપર વેરાવળ રહેતા ભગવાનજીભાઈ સુનીલભાઈ સોંદરવા સાથે પ્રેમલગ્ન થયા હતા. લગ્નના શરૂઆતના 4 મહિના બાદ જ સાસરિયાએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. સાસુ મિનાક્ષીબેન અને સસરા સુનીલભાઈ ઘરકામ બાબતે મેણા-ટોણા મારી પરિણીતા પર શંકા-કુશંકા કરતા હતા. પતિ ભગવાનજીને દારૂ પીવાની ટેવ હોવાથી તે અવારનવાર ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારતો હતો. ગત તા. 18 જાન્યુઆરીના રોજ સાસુ-સસરાની ચડામણીથી પતિએ પરિણીતાને માર મારી ઘરમાંથી કાઢી મૂકી હતી. આખરે કંટાળીને પરિણીતાએ તેના પિતાના ઘરે આશરો લીધો હતો. આ અંગે પરિણીતાએ મંગળવારે ફરિયાદ કરતા માળીયા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આયોજન:સાળંગપુરમાં તા. 2 અને 4 માર્ચે દીક્ષા સમારોહ: 8મી માર્ચે રંગોત્સવ યોજાશે
BAPS સ્વામિ નારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પ.પૂ મહંત સ્વામી મહારાજનું બુધવારે સાળંગપુર તીર્થધામ ખાતે આગમન થયુ હતુ. સાળંગપુર મંદિરે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું આગમન થતાં જ ઉપસ્થિત સંતો અને વિશાળ સંખ્યામાં હરિભક્તોએ જયનાદ સાથે તેમનું સ્વાગત કર્યું હતું. આ ક્ષણે BAPSના યુવકો અને બાળકો દ્વારા વિશેષ નૃત્યાંજલિ અર્પણ કરી ગુરુહરિ પ્રત્યે અનન્ય ભાવવંદના રજૂ કરવામાં આવી હતી.ઉલ લેખનીય છે કે, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આગામી તા. 18 માર્ચ સુધી સાળંગપુર મુકામે રોકાણ કરશે. આગામી 2 અને 4 માર્ચના અનુક્રમે પાર્ષદી અને ભાગવતી દીક્ષા સમારોહ યોજાશે. જેમાં ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દી ધરાવતા નવયુવાનો સંસારના ભૌતિક સુખોનો ત્યાગ કરી ત્યાગા શ્રમનો પવિત્ર માર્ગ સ્વીકાર શે.તેમજ 8 માર્ચના મહંત સ્વામી મહારાજની નિશ્રામાં ભવ્ય રંગોત્સવની ઉજવણી કરવામાં આવશે.. દેશ-વિદેશના હજારો હરિભક્તો આ ઉત્સવોમાં સહભાગી થઈ ધન્યતા અનુભવશે..મહંત સ્વામી મહારા આગામી 18 માર્ચ સુધી સત્સંગનો લાભ આપશે.
ફરિયાદ:બોટાદમાં એસટી ડ્રાઈવર પર રિક્ષા ચાલકનો હુમલો,પાઈપથી માથું ફોડ્યું
બોટાદમાં સરકારી ફરજ પર રહેલા એસટી ડ્રાઈવર પર એક રિક્ષા ચાલકે અમાનુષી હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. લોખંડના પાઈપ વડે થયેલા આ હુમલામાં ડ્રાઈવરને માથાના ભાગે ચાર ટાંકા આવ્યા છે. પોલીસે હુમલાખોર રીક્ષા ચાલક વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ફરિયાદી હરેશભાઈ પાલજીભાઈ ચાચીયા (રહે. બોટાદ) એસટીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. ગત 24 ફેબ્રુઆરીના રોજ તેઓ ઇંગોરાળા-બોટાદ રૂટની બસ (GJ-18 ZT 2272) લઈને બોટાદ તરફ આવી રહ્યા હતા. સાંજના આશરે સાડા છ વાગ્યાના અરસામાં બોટાદ-ભાંભણ રોડ પર શેરી નં-6 પાસે એક રીક્ષા (GJ-07 AU 1083) રોંગ સાઈડમાંથી ધસી આવી હતી.ડ્રાઈવરે બસ સાઈડમાં ઉભી રાખતા રીક્ષા ચાલકે ઉશ્કેરાઈને ગાળાગાળી શરૂ કરી હતી. આ દરમિયાન ડ્રાઈવરે ગાળો બોલવાની ના પાડતા રીક્ષા ચાલકે રિક્ષામાંથી લોખંડનો પાઈપ કાઢી પહેલા બસના કાચ ફોડી નાખ્યા હતા. ત્યારબાદ જ્યારે ડ્રાઈવર નીચે ઉતર્યા ત્યારે તેમના પર પાઈપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ડ્રાઈવરને માથાના ભાગે પાઈપ વાગતા તેમને કુલ 4 ટાંકા આવ્યા (કપાળ ઉપર 1 અને પાછળ 3) આ ઉપરાંત બચાવ કરવા જતા જમણા હાથના કાંડા પર પાઈપ વાગ્યો હતો.જ્યારે એસટી બસના કાચને નુકશાન થયુ હતુ અને ડ્રાઈવરનો મોબાઈલ તોડી નાખ્યો હતો. હુમલો ઉગ્ર બનતા બસના કંડક્ટર જગદીશભાઈએ તાત્કાલિક વચ્ચે પડી રીક્ષા ચાલકના હાથમાંથી પાઈપ પકડી લીધો હતો અને ડ્રાઈવરને વધુ માર ખાતા બચાવ્યા હતા. જતા-જતા રીક્ષા ચાલકે જો ફરી અહીથી બસ કાઢી તો મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. ઇજાગ્રસ્ત ડ્રાઈવરને બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં ખસેડાયા હતા. બોટાદ પોલીસે આ મામલે રીક્ષા ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 221, 324, 115(2), 118(1) ,352 અને 351(3) અને સરકારી મિલકતને નુકસાન કરવા બદલ કલમ દાખલ કરી ગુનો નોંધ્યો છે
ધરપકડ:બોટાદથી ચોરાયેલા બાઈક કેસમાં 2 આરોપી બાઈક સહિત પકડાઈ ગયા
રાણપુર તાલુકાના નાગનેશ ગામનો યુવક તેના મિત્ર સાથે બોટાદમાં ખરીદી કરવા આવતા બોટાદ ટાવર રોડ ઉપર પંચવટી હોટલની સામે રોડની બાજુમાં ડેલા પાસે પાર્ક કરેલ બાઈક કોઈ ચોરી કરી લઈ ગયાની બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ જે કેસમાં પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. નાગનેશ ગામે રહેતા શૈલેશભાઇ રાજેશભાઈ બારૈયા ગત 15 ફેબ્રુઆરી નાં તેના મિત્ર સાથે બોટાદમાં ખરીદી કરવા આવ્યો હતો સવાર ના સમયે બોટાદ ટાવર રોડ ઉપર પંચવટી હોટલની સામે રોડની બાજુમાં ડેલા પાસે બાઈક પાર્ક કરેલ ત્યારબાદ ખરીદી કરી પરત જવા બપોરના સાડા ત્રણેક વાગ્યે બાઈક મુકેલ હતુ તે જગ્યાએ જઈને જોતા તે જગ્યાએ બાઈક હતુ નહી જેથી આજુબાજુમા શોધખોળ કરી હતી પરંતુ બાઈક મળી આવેલ નહી જેથી GJ-13-R-3434 નંબરનુ બાઈક કોઇ ચોરી કરી લઈ ગયાની 23 ફેબ્રુઆરીના બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ આ બાઈક ચોરી કેસમાં પી.એસ.આઈ. વી.સી. ભરવાડ તથા સર્વેલન્સ ટીમની વિવિધ ટીમો સાથે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન અનાર્મ. હેડ કોન્સ્ટેબલ રામદેવસિંહ વાળા તથા પ્રફુલકુમાર પટેલે આરોપી રાજેશ દેવજીભાઈ કણઝરીયા, અલ્પેશ મનજીભાઈ મકવાણા (રહે.બન્ને બોટાદ)ને એકનંબર વગરની સ્પ્લેન્ડર પ્લસ બાઈક કબ્જે કરી પોલીસ સ્ટેશન ખાતે લાવી પુછપરછ કરતાં આરોપીઓએ આ બાઈક ગત 15 ફેબ્રુઆરીએ ટાવર રોડ ઉપર પંચવટી હોટલની સામે રોડની બાજુમાં ડેલા પાસેથી ચોરી હોવાની કબુલાત કરી હતી.
કરૂણાંતિકા:મચ્છર ભગાડવા કરેલી અગરબત્તીથી ગાદલામાં આગ લાગતા વૃદ્ધનું મોત
બગસરાના મેઘાણીનગર વિસ્તારમાં એક અત્યંત કરુણ ઘટનામાં મચ્છર ભગાડવા માટે કરવામાં આવેલી અગરબતી અને બીડી પીવાની ટેવને કારણે કોઈ રીતે ગાદલામાં આગ લાગતા એક 90 વર્ષીય વૃદ્ધ ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેમનું મોત નીપજ્યું હતું. બગસરાના મેઘાણીનગરમાં રહેતા અને મજૂરી કામ કરી જીવનનિર્વાહ કરતા 90 વર્ષીય જીવરાજભાઇ ગોકળભાઇ પોપલીયા ગઈ કાલે સવારના આશરે 08:50 વાગ્યા પહેલા પોતાના રૂમમાં હતા. વૃદ્ધને બીડી પીવાની આદત હતી અને મચ્છરોથી બચવા માટે રૂમમાં ધુમાડો કર્યો હતો. આ દરમિયાન અચાનક ગાદલામાં આગ લાગી ગઈ હતી. વય મર્યાદાને કારણે વૃદ્ધ કદાચ સમયસર બહાર નીકળી શક્યા ન હતા અને ગંભીર રીતે દાઝી જવાથી તેમનું ઘટનાસ્થળે જ અકાળે અવસાન થયું હતું. આ ઘટના અંગે મૃતકના પુત્ર કિશોરભાઇ જીવરાજભાઇ પોપલીયા દ્વારા બગસરા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને લઈ તાત્કાલિક બગસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે ખસેડાયા હતા.
મેગા ડીસ કનેક્શન ડ્રાઈવ:ધારીમાં વીજ તંત્ર દ્વારા 49 વીજ જોડાણો કાપી નખાયા
ધારીમાં વિજ કચેરીમાં મેગા ડીસ કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડીસ કનેક્શન ડ્રાઈવમાં કચેરી તરફથી જુદી જુદી 10 ટીમો બનાવી 99 જેટલા ગ્રાહકોના બાકી 5.94 લાખ વસુલવાની કામગીરી હાથ ધરી હતી. ધારીમાં આયોજિત મેગા ડીસ કનેકશન ડ્રાઈવમાં 49 વિજ જોડાણમાં 3.66 લાખ ભરપાઈ ન કરતા આ તમામના વિજ જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા. 49 લોકોના વિજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. તેમજ 50 વિજ ગ્રાહકોએ 2.03 લાખ વિજબીલની રકમ ભરપાઈ કરી દીધી હતી. ધારીમાં મેગા ડીસ કનેકશન ડ્રાઈવનું નાયબ ઈજનેર જે.એલ.સાંગાણીના સુપરવીઝન નીચે આયોજન કરવામાં આવ્યું હતું. વિજ વિભાગની આ ડ્રાઈવથી વિજબીલ ન ભરપાઈ કરનાર લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
વિજ કંપનીએ બાકી બિલની ઉઘરાણી શરૂ કરતા જ સાવરકુંડલા પાલિકાએ 26.56 કરોડનો ચેક વિજ વિભાગને આપી દીધો હતો. સાવરકુંડલામાં વિજ બિલ બાકીદારો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં PGVCL દ્વારા વિજ બિલના બાકીદારો સામે મેગા કનેક્શન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. 25 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત સાવરકુંડલા શહેર પેટા વિભાગ પીજીવીસીએલ દ્વારા મેગાડીશ કનેક્શન ડ્રાઇમાં 19.73 લાખ બાકી હોવાથી કુલ 192 કનેક્શન કાપી નાખ્યા હતા. આ ઉપરાંત 15.25 લાખ રિકવર કરી રૂપિયા 5200નો રી કનેક્શન ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. તેમજ નગરપાલિકાની રૂપિયા 26.56 કરોડનો ચેક આ ઝુંબેશમાં વિજ વિભાગને આપ્યો હતો. વીજ જોડાણ ન કપાય તેના માટે લાઈટ બિલ ભરી દેવા પીજીવીસીએલ દ્વારા અપીલ કરવામાં આવી છે. પાલિકાએ વ્યાજ અને અન્ય ચાર્જ માફ કરવાના વાંધા સાથે પાણી શાખાનું બિલ ચુકવ્યું હતું. સાવરકુંડલા પંથકમાં વિજ વિભાગે 192 લોકોના કનેકશન કાપી નાખ્યા હતા. આ કામગીરી માટે અમરેલી જિલ્લાના 29 સબ-ડિવિઝનમાં દસ-દસ માણસોની કુલ 290 ટીમો તૈનાત કરવામાં
આજથી ધો. 10 અને 12ની પરીક્ષા:બોર્ડની પરીક્ષામાં માર્કસ ઓછા પણ જીવનમાં સફળતા અપાર
સમગ્ર અમરેલી જિલ્લામાં આવતીકાલથી ધોરણ 10 અને12ની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. જિલ્લામાં ધોરણ 10ના 28 કેન્દ્ર પર 94 બિલ્ડીંગમાં પરીક્ષા છે. જ્યારે ધોરણ 12ના બંને પ્રવાહમાં 20 કેન્દ્ર પર 62 બિલ્ડીંગમાં પ્રવાસ છે. ધોરણ 10માં કુલ 19648 છાત્ર પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12માં 12297 છાત્ર પરીક્ષા આપશે. બંને ધોરણના મળી કુલ 31945 છાત્રો પરીક્ષા આપશે. જો કે જીવનમાં આ પરીક્ષાના માર્કસ જ બધુ નથી. અભ્યાસ દરમિયાન સાધારણ પરિણામ મેળવનારા અનેક લોકો આગળ જતા જીવનની પરીક્ષામાં સફળ થયા છે અને પરીક્ષામાં ઓછા ગુણ મેળવવા છતાં પોત પોતાના ક્ષેત્રમાં ટોચ પર બેઠા છે. અનિલ વેકરીયા ધો.10માં 60 ટકા (આચાર્ય મેઘાણી હાઇસ્કૂલ) વિનોદભાઇ જેઠવા હિતેષભાઇ પરમાર ધો. 12 માં પાસ(સૌરાષ્ટ્ર શરાફી મંડળીના ચેરમેન) ધો.12માં નાપાસ ( કુંડલાના વજન કાંટાના ઉદ્યોગકાર) ધોરણ 12ની પરીક્ષા દરમિયાન માર્ચ 98માં ઈકોનોમિક વિષયમાં માત્ર 47 માર્કસ મેળવ્યા હતા. પરંતુ અર્થશાસ્ત્રનો વિષય નબળો હોવા છતાં નામાંકિત નાણાંકીય સંસ્થાનો સફળ વહિવટ સંભાળ્યોઆગળ પીટીસી કરી 23 વર્ષ સુધી આચાર્ય તરીકે કામ કરી સ્વૈચ્છીક નિવૃતિ લીધી'ને 12 વર્ષથી 550 કરોડનું ટર્નઓવર ધરાવતી સૌરાષ્ટ્ર શરાફી સહકારી મંડળીનું સુકાન સંભાળે છે. સંદેશ : મારા જેવા અનેક લોકો હશે. જેની માર્કસીટ નબળી હશે. પરંતુ જીવનમાં બોર્ડની પરીક્ષાના માર્કસનું જ મહત્વ નથી. જીવનમાં અનેક પરીક્ષા અને તક આવવાની હોય છે. જેમાં સફળતા મળે જ. ધોરણ 10માં માત્ર 60 ટકા માર્કસ હતા અને ગુજરાતી વિષયમાં તો માત્ર 37 માર્કસ મળ્યા હતા. પરંતુ બાદમાં બીએ, બીએડ કરી આજે તે મેઘાણી હાઈસ્કૂલના પ્રિન્સીપાલ બન્યા ધોરણ 10,12નું પરીણામ ભલે નબળુ રહ્યું પણ બીએડમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં પ્રથમ ક્રમાકે હતા. 2009માં શિક્ષક તરીકે અને 2019થી આચાર્ય તરીકે ભૂમિકા નિભાવી રહ્યા છે. સંદેશો: આ પરીક્ષા માત્ર ભણતરની છે. જીવનના ગણતરની નથી. એટલે છાત્રોએ પરીક્ષાનો ડર રાખ્યા વગર કે નિરાશ થયા વગર પરીક્ષા આપવી. માર્કસ ઓછા મળે તો પણ નિરાશ એટલા માટે ન થવું કે કદાચ જીવનમાં વધુ સારી સફળતા તમારી રાહ જોઈ રહી છે.
કાર્યવાહી:નવા ઉજળાના શખ્સને પાસા હેઠળ પાલનપુરની જેલમાં ધકેલી દેવાયો
વડીયાના નવા ઉજળા ગામે રહેતા રણજીત કાંતીભાઈ વાઘેલા સામે વડીયા, રાજુલા અને તળાજા પોલીસ મથકમાં ચાર ગુના નોંધાયેલા હતા. તેમજ મિલકત સબંધીત ગુનાઓ આચરવાની ટેવ ધરાવે છે. વડીયાના પીઆઈ એ.એન.ગાંગણાએ રણજીત કાંતીભાઈ વાઘેલા (ઉ.વ.22) વિરૂદ્ધ જરૂરી પુરાવા એકત્રીત કરી મેજીસ્ટ્રેટ સમક્ષ પાસાની દરખાસ્ત રજુ કરી હતી. જિલ્લા મેજીસ્ટ્રેટ વિકલ્પ ભારદ્વાજ દ્વારા રણજીત વાઘેલાને પાસા હેઠળ પાલનપુર જિલ્લા જેલમાં ધકેલવાનો હુકમ કર્યો હતો. અમરેલી જિલ્લા પોલીવડા સંજય ખરાતની સૂચનાથી એલસીબી ટીમે રણજીત વાઘેલાને પાસા હેઠળ જેલમાં ધકેલવાની કાર્યવાહી કરી હતી.
કાર્યક્રમ:પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અને પાયાના તત્વોઅંગે ખેડૂતોને સમજણ આપવામાં આવી
અમરેલી પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમનું આયોજન કરવામાં આવે છે. અમરેલીના મોટા આંકડીયામાં અંજીર ફાર્મ ખાતે ખેડૂતો માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટા આંકડીયા, માલવણ, દહીડા અને પીપળીયા ગામના 150 થી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ વિશે માહિતી મેળવી હતી. રાસાયણિક ખેતી થકી જમીનની ફળદ્રુપતા નાશ પામી રહી છે. પેસ્ટીસાઈડ્સના કારણે વિવિધ ઉત્પાદિત પાકની ગુણવત્તા ઘટી રહી છે સાથે માનવીય આરોગ્ય પરનો ખતરો સતત વધી રહ્યો છે. તાલીમ કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને અંજીર ફાર્મ ખાતે મુલાકાત કરાવવામાં આવી હતી. સાથે પ્રાકૃતિક કૃષિના પાયાના તત્વો જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, વાપ્સા, મિશ્ર પાક પદ્ધતિ સહિતના વિવિધ આયામો વિષયક માહિતી પુરી પાડવામાં આવી હતી. ખેડૂતોએ અંજીરની પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનું જીવંત નિરીક્ષણ કર્યું હતુ. આ તકે તાલુકાના વિસ્તરણ અધિકારી રાહુલભાઈ શેખવા અને આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર મહેશ ઝીડ, માસ્ટર ટ્રેનર વૈશાલીબેન ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોએ પરંપરાગત કૃષિ પદ્ધતિ છોડીને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
માગ:રાજુલાના ચાંચ સહિત 13 ગામોને વસ્તી ગણતરીમાં યોગ્ય ન્યાય આપો
રાજુલા તાલુકાના દરિયાકાંઠાના ચાંચ ગામ સહિત આસપાસના અનેક ગામોના વહીવટી પ્રશ્નો અને ખાસ કરીને વસ્તી ગણતરી મુદ્દે ભાજપના પદાધિકારીઓ દ્વારા રાજ્ય કક્ષાએ ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે.ગ્રામજનોને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ મળે તે હેતુથી આ ગામોના નામ મામલતદાર કચેરીના રેકોર્ડ મુજબ વસ્તી ગણતરીમાં સુનિશ્ચિત કરવા માંગ ઉઠી છે. રજૂઆતમાં સમાવિષ્ટ કરવા ચાંચ, ખેરા, પટવા, સમઢિયાળા-1, ધાતરવડી, વિસળીયાં, વિકટર, પીપાવાવ, નિંગાળા, કડીયાળી, ભેરાઈ અને દેવપરા સહિતના ગામોના નામનો ઉલ્લેખ કરાયો છે. ભાજપ આગેવાન કાનજીભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, આ તમામ ગામોના નામ મામલતદાર કચેરીના દફતરે નોંધાયેલા છે. વસ્તી ગણતરી એ સરકારી સુવિધાઓ અને ગ્રાન્ટ ફાળવણી માટેનો પાયો છે. જો વસ્તી ગણતરી અને અન્ય વહીવટી કામકાજમાં આ ગામોનો યોગ્ય રીતે સમાવેશ થાય, તો જ ગ્રામજનોને વસ્તી આધારિત સરકારી યોજનાઓ, આરોગ્ય સુવિધાઓ અને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો સીધો લાભ મળી શકે તેમ છે. જેને આ ગંભીર મુદ્દે યોગ્ય નિકાલ લાવવા માટે સાંસદ ભરત સુતરીયા, મંત્રી કુંવરજી બાવળિયા, કાનૂન-ન્યાયતંત્ર અને ઉર્જા વિભાગ મંત્રી કૌશિક વેકરીયા, ધારાસભ્ય હિરાભાઈ સોલંકી, અતુલ કાનાણી સહિતનાને લેખિત રજૂઆત કરી છે. અગાઉ વર્ષ 2021 માં જ્યારે વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરાવાની હતી, ત્યારે પણ આ અંગે લેખિત જાણ કરવામાં આવી હતી. તે સમયે મામલતદાર દ્વારા આ ગામોની એક સત્તાવાર યાદી પણ તૈયાર કરાઇ હતી.
રજુઆત:ચૈત્રી નવરાત્રિમાં સા. કુંડલાથી કનકાઈ એસટી બસ શરૂ કરો
સાવરકુંડલાના સેવાભાવી અને સિનિયર સીટીઝન અગ્રણી નયનભાઈ ગાંધી અને તેમની ટીમ દ્વારા સાવરકુંડલા એસ.ટી. ડેપો મેનેજરને પત્ર પાઠવી સાવરકુંડલાથી કનકાઈ સુધીની લોકલ બસ ચૈત્રી નવરાત્રી દરમિયાન ચાલુ કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી. સાવરકુંડલા ડેપોની સાવરકુંડલાથી આગામી ચૈત્ર માસ તારીખ 19 માર્ચ 2026થી 27 માર્ચ દરમિયાન સાવરકુંડલા કનકાઈ માતાજીની બસ સુવિધા શરુ કરવા અંગે રજુઆત કરવામાં આવી હતી. ગીર મધ્યે આવેલ કનકાઈ માતાજી મંદિરમાં માતાજીની ભક્તિ અને આરાધના માટે ચૈત્રી નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવાના આવે છે. બધા હિન્દૂ ભક્તો માટે એક અનેરો અવસર હોય છે અને દરેક ધાર્મિક પ્રજા કનકાઈ માતાજીના દર્શન કરવા માટે તત્પર હોય છે. સામાન્ય સંજોગોમાં ત્યાં જવા માટે કોઈપણ બસ સુવિધા સાવરકુંડલાથી નથી પરંતુ જો આ સમય દરમિયાન સ્પેશ્યલ બસ 10 દિવસ માટે દોડાવવામાં આવે તો સાવરકુંડલા આજુબાજુના વિસ્તારો તેમજ ચલાલા, ધારી વિસ્તારની ધર્મપ્રેમી જનતાને કનકાઈ માતાજીના દર્શનનો બહોળો લાભ મળી રહે તેમ છે. કનકાઈ માતાજીનું મંદિર પ્રાચીન સમયથી આવેલું છે અને ઘણા કુટુંબોના કુળદેવી પણ છે જેથી ચૈત્રી નવરાત્રી દરમિયાન બસ સુવિધા આપવા માંગ કરવામાં આવી હતી. આમ, બસ શરૂ કરાઇ તો લોકોને ફાયદો થશે.
વિવાદ:ગીદરડી ગામમાં બળદગાડું, બાઇક અથડાતા બોલાચાલી થતા મહિલા પર કુહાડી વડે હુમલો
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગીદરડી ગામે પાર્કિંગ જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. મહેમાનના મોટરસાયકલ સાથે બળદગાડું અથડાવા બાબતે ઠપકો આપતા, ઉશ્કેરાયેલા ત્રણ શખ્સોએ એક મહિલા પર જીવલેણ હુમલો કરી મારી નાખવાની ધમકી આપી છે. ગીદરડી ગામે રહેતા રાબીયાબેન ઇકબાલભાઇ અવાદી (ઉ.વ. 35)ના ઘરે મહેમાન આવ્યા હતા. આ મહેમાનનું મોટરસાયકલ ઘરની બહાર પાર્ક કરેલું હતું. તે દરમિયાન ગામના જ જસુભાઇ ઉર્ફે જયસુખભાઇ કણસાગરા પોતાનું બળદગાડું લઇને ત્યાંથી નીકળતા મોટરસાયકલ સાથે અથડાવ્યું હતું. જ્યારે રાબીયાબેનના પતિએ આ બાબતે જસુભાઇને ઠપકો આપ્યો, ત્યારે આ વાતનું મનદુઃખ રાખી જસુભાઇ, અફસાનાબેને અને આરતીબેન સહિત ત્રણ લોકો હથિયારો સાથે ધસી આવ્યા હતા. ત્રણેય જણાએ મહિલા સહિત બે પર હુમલો કર્યો હતો. અને ઢીકાપાટુનો માર મારી પાઈપ અને કુહાડીથી મહિલાને ડાબા ગાલ ઉપર તેમજ ગળાના ભાગે ઇજા પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ ત્રણેય આરોપીઓએ ગાળો આપી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે બાબતે ખાંભા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી રાબીયાબેનની ફરિયાદના આધારે ત્રણે વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ફરિયાદ:અમરેલીના દહીડા ગામમાં પ્રેમ લગ્નના મુદ્દે બે પક્ષ વચ્ચે મારામારીમાં 6ને ઇજા
અમરેલી જિલ્લાના દહીડા ગામે રાત્રિના સમયે પ્રેમલગ્નની અદાવતમાં હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. દીકરાએ કરેલા પ્રેમલગ્નનો ખાર રાખીને એક જૂથ દ્વારા લાકડી અને પાઇપ જેવા હથિયારો સાથે હુમલો કરવામાં આવતા અફરાતફરી મચી ગઈ હતી. આ હુમલામાં મહિલાઓ સહિત બંને પક્ષોમાં કુલ 18 જેટલા લોકો ઉપર સામાસામી ફરિયાદ દાખલ કરાઇ છે. અમરેલીના દહીડા ગામના રવજીભાઇ ખીમાભાઇ ધાધલના દીકરાએ અમરશીભાઈની ભાણકી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ પ્રેમસંબંધોના લગ્ન પરિવારને મંજૂર નહોતા, જેનું મનદુઃખ તેઓ લાંબા સમયથી રાખી રહ્યા હતા. જેને લઈ ગઈકાલે રાત્રિના આશરે 11 વાગ્યાના અરસામાં, અમરશીભાઈએ અગાઉથી કાવતરું રચી, ગેરકાયદેસર રીતે રવજીભાઇના મકાનમાં પ્રવેશ કર્યો હતો.અને સાથે દિનેશભાઈ, પાલભાઈ ગોરધનભાઇ સહિત 14 જેટલા લોકોએ લાકડીઓ, લોખંડના પાઇપ અને અન્ય હથિયારો વડે પરિવારના સભ્યો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં માત્ર પુરુષો ઉપરજ નહીં, પરંતુ ઘરની મહિલાઓ પર પણ ઢીકાપાટુ અને હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ થયાનું જાણવા મળ્યું છે. તો સામા પક્ષે રવજીભાઈ ધાધલ અને તેમના પત્ની ગીતાબેન સાથે દીકરા દિકરીએ પણ લાકડી અને ઢીકાપાટુનો માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાની 4 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ બંને પક્ષોની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો.
આત્મહત્યા:પતિ સાથે બોલાચાલી બાદ પત્નીએ ગળેફાંસો ખાઇ લીધો
અમરેલી શહેરના જેસીંગપરા વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા 30 વર્ષીય પરિણીતાએ ગળાફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ બનાવને પગલે સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે. અમરેલીના જેસીંગપરા વિસ્તારમાં રહેતા 30 વર્ષીય દર્શનાબેન અને તેમના પતિ દિપકભાઈ ભુરાભાઈ બાવળીયા વચ્ચે કોઈ અગમ્ય કારણોસર અંદરોઅંદર બોલાચાલી થઈ હતી. આ રકઝક બાદ આવેશમાં આવી જઈને દર્શનાબેને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, પરંતુ કમનસીબે દર્શનાબેનનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે મૃતકના પતિ દિપકભાઈ ભુરાભાઈ બાવળીયા ઉ.વ. 40એ અમરેલી સીટી પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
સન્માન:સાવરકુંડલાના કરજાળા ગામનો યુવાન ફૌજમાંથી નિવૃત થઈ વતન આવતા ભવ્ય સ્વાગત કરાયું
સાવરકુંડલાના કરજાળા ગામના યુવાન અને નિવૃત્ત ફૌજી જવાનનું સમગ્ર ગ્રામજનો દ્વારા ભવ્ય સન્માન કરવામા આવ્યું હતું. સમગ્ર કરજાળા ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું. આ તકે રેલી, સાંસ્કૃતિક કાર્યક્રમો અને મહાપ્રસાદ રખાયો હતો. સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામમાં તાજેતરમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. ગામના વતની અને દેશની સરહદો પર અડીખમ રહીને ભારતમાતાની સેવા કરી નિવૃત્ત થયેલા ફૌજી જવાન જીગ્નેશભાઈ વિઠ્ઠલભાઈ ચાંદગઢીયાનો વતનમાં ભવ્ય અને યાદગાર સન્માન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે સમગ્ર ગ્રામજનોમાં ગૌરવ અને હર્ષની લાગણી છવાઈ ગઈ હતી. કાર્યક્રમની શરૂઆત એક ભવ્ય રેલી દ્વારા કરવામાં આવી હતી. નિવૃત્ત જવાનના માનમાં આખું ગામ ઉમટી પડયું હતું અને બેન્ડવાજાના તાલે નીકળેલી આ રેલીએ લોકઉત્સવનું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ તકે માત્ર ફૌજી જવાન જ નહીં પરંતુ ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં ફરજ બજાવી ગામનું નામ રોશન કરનાર કરજાળાના અન્ય સરકારી કર્મચારીઓનું પણ જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. કરજાળા ગામની પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓએ દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક નૃત્યો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં સુરત અને અમદાવાદ ખાતે વસતા ગામના અગ્રણીઓ અને મહેમાનોએ ખાસ હાજરી આપી હતી. કાર્યક્રમના પૂર્ણાહુતિ બાદ શેલ કાંઠા હનુમાનજી મહારાજના મંદિરે સમસ્ત ગ્રામજનો માટે ધુમાડાબંધ જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું.
એસટી બસોના સુચારૂ સંચાલન માટે ખાસ સૂચના:નર્મદામાં આજે 14,580 છાત્રો બોર્ડ પરીક્ષાની કસોટીની એરણે
નર્મદા જિલ્લામાં ધોરણ 10 (એસ.એસ.સી) બોર્ડની પરીક્ષામાં જિલ્લાના 16 પરીક્ષા કેન્દ્રો ખાતે 8719 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તેના માટે 27 પરીક્ષા બિલ્ડીંગોમાં 303 બ્લોક નક્કી કરાયા છે. જ્યારેધોરણ- 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 6 પરીક્ષા કેન્દ્રો ખાતે 4836 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત થશે. જેના માટે 15 બિલ્ડીંગમાં 166 બ્લોક નક્કી કરાયા છે. તેવી જ રીતે ધોરણ- 12 વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લામાં બે કેન્દ્રો ખાતે 1025 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જે માટે 5 બિલ્ડીંગમાં ૫૩ બ્લોક નક્કી કરાયા છે. આમ નર્મદા જિલ્લામાં ધોરણ- 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓમાં 24 કેન્દ્રો ખાતે 522 બ્લોકમાં કુલ 14,580 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. એસ.ટી. બસોનું નિયમિત સંચાલન થાય, વીજ પ્રવાહ સતત જળાઈ રહે, પરીક્ષા કેન્દ્રોમાં પીવાના પાણીની પુરતી સુવિધા ઉપલબ્ધ થાય, આરોગ્યલક્ષી સુવિધા તુંરત મળી રહે તે માટેની ઉપલબ્ધતાની ચકાસણી કરીલેવા સાથે પરીક્ષાના સમય દરમિયાન અધિકૃત કરાયેલા અધિકારી- કર્મચારીઓ સિવાય અય કોઈ વ્યક્તિ કેમ્પસમાં પ્રવેશ ન કરે તેની કાળજી રાખવી અને વિદ્યાર્થીઓને કોઈપણ મુશ્કેલી ન પડે તેવી રીતે આયોજન કરવામાં આવ્યું છે.
ભાસ્કર એનાલીસીસ:નવા સિમાંકન મુજબ નવા અસ્તિત્વમાં આવેલા નાનાપોંઢા તાલુકાને જિલ્લા પંચાયતની 4 બેઠક
વલસાડ જિલ્લા પંચાયતની આગામી વર્ષની ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જોરદાર કવાયત શરૂ કરી દેવામાં આવી છે.આયોગે જાહેર કરેલી અનામત ફાળવણીમાં જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે જાતિ વર્ગના આધારે બેઠકો ફાળવાઇ છે.જેમાં ST,SC ,OBC અ્ને સામાન્ય વર્ગના મતદારોના આધારે બેઠકો નિર્ધારિત કરવામાં આવતાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના રાજકારણમાં ચહલપહલ સર્જાઇ છે. આ વખતે જિલ્લામાં કપરાડા તાલુકાનું વિભાજન થયું હતું.જેમાંથી નાનાપોંઢાને છુટું પાડી તેને તાલુકો દરજ્જો અપાતાં નાના પોંઢા તાલુકા પંચાયત અસ્તિત્વમાં આવી છે.જેમાં કપરાડા અને પારડી તાલુકાના કેટલાક ગામોનો સમાવેશ કરી નવુ સિમાંકન થયું છે.જેને ધ્યાને લઇ નાનાપોંઢાને જિલ્લા પંચાયતની 4 બેઠકો ફાળવવામાં આવી છે.આ જાહેરનામા બહાર પડ્યા બાદ અનેક નેતાઓની બેઠકના વિસ્તાર બદલાઇ ગયા હોય નેતાઓ મુંજવણમાં જણાઇ રહ્યા છે. જિલ્લા પંચાયતની કુલ 36 પૈકી કઇ બેઠકો પર કઇ અનામતઆંબતલાટ તા.ધરમપુર એસટી સીટ, આસલોણાં તા.કપરાડા,એસટી, અંભેટી એસટી,તા.નાનાપોંઢા,અટ ગામ તા.વલસાડ એસટી સ્ત્રી,આવધા તા. ધરમપુર,એસટી સ્ત્રી,બામટી તા.ધરમપુર એસટી,ચણવઇ તા.વલસાડ એસટી,ડહેલી તા.ઉમરગામ ,એસટી,ડુંગરી તા.વલસાડ સામાન્ય સ્ત્રી,ફણસા તા.ઉમરગામ એસટી,હનમતમાળ તા.ધરમપુર એસટી, કકવાડી દાંતી તા.વલસાડ એસટી, કપરાડા તા.કપરાડા એસટી સ્ત્રી, ખતલવાડ તા.ઉમરગામ સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી, કોસંબા તા.વલસાડ સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી, માકડબન તા.ધરમપુર એસટી સ્ત્રી, માંડવા તા.નાનાપોંઢા એસટી સ્ત્રી,મરોલી તા.ઉમરગામ, એસટી,મેઘવા ળ તા.કપરાડા એસટી બેઠક, મોહનગામ તા.ઉમરગામ એસટી સ્ત્રીબેઠક, મોટાપોંઢા,તા.નાનાપોં ઢા સા.શૈ.પછાતવર્ગ,નનકવા ડા તા.વલસાડ સા.શૈ.પછાત વર્ગ બેઠક, નાના પોંઢા તા.નાનાપોંઢા સામાન્ય સ્ત્રી બેઠક, પારડીસાંઢપોર તા.વલસાડ બિન અનામત સામાન્ય બેઠક, પરિયા તા.પારડી,એસટી સ્ત્રી બેઠક, પારનેરા તા.વલસાડ બિન અનામત સામાન્ય બેઠક, સંજાણ તા.ઉમરગામ બિન અનામત સામાન્ય, સરીગામ તા.ઉમરગામ,સામાન્ય સ્ત્રી, સિલધા તા.કપરાડા એસટી સ્ત્રી, સોળસુંબા તા.ઉમરગામ એસસી સ્ત્રી,સુખેશ તા.પારડી એસટી, તસ્કરીતલાટ ધરમપુર,એસટી સ્ત્રી,ટુકવાડા તા.પારડી એસટી સ્ત્રી, ઉમરસાડી તા.પારડી, બિન અનામત સામાન્ય બેઠક, વડોલી,તા.કપરાડા,એસટી સ્ત્રી બેઠક, વાંકલ તા.વલસાડ એસટી સ્ત્રી બેઠક
નેશનલ હાઈવે ઓથોરીટીએ 12 જુલાઇ 2025ની દરખાસ્ત અન્વયે જાહેરનામાથી તાન નદી, માન નદી, કોલક નદી,તથા રાતા ખાડી ઉપર આવેલા બ્રીજનો વાહન વ્યવહાર નિયંત્રિત કરી ડાયવર્ઝન આપવા હુકમ કર્યો હતો.આ જાહેરનામા મુજબ તાન નદી ઉપરના બ્રિજ ઉપરથી તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત મુક્યો હતો. જ્યારે માન નદી, કોલક નદી તથા રાતા ખાડી ઉપર આવેલા બ્રિજ ઉપરથી ભારે વાહનોની અવર-જવર ઉપર માટે પ્રતિબંધિત મુક્યો હતો. જાહેરનામામાં ઈમરજન્સી સેવામાં 108 એમ્બ્યુલન્સ તથા અન્ય ખાનગી/સરકારીએમ્બ્યુલ ન્સને અવર-જવર માટે માન નદી તથા કોલક નદી તથા રાતા ખાડી ઉપર આવેલા બ્રીજ પરથી ભારે વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકતા જાહેરનામામાંથી મુક્તિ આપી હતી. નાનાપોંઢા નજીકના કોલક નદી બ્રિજ ઉપરથી ફક્ત હળવા વાહનોને અવર- જવર માટે છૂટ-છાટ આપવા સુધારા હુકમ કરાયો હતો. નેશનલ હાઈવે-56 માન નદી ઉપર કરંજવેરી ગામ પાસે આવેલો બ્રીજ વાંસદા અને ધરમપુરને જોડતો મહત્વનો બ્રિજ હોય અને ધરમપુર તાલુકા મથકે આવતા વિદ્યાર્થીઓ તેમજ આજુબાજુના વિસ્તારના ગામોના લોકોને અવર-જવર માટે મુશ્કેલી પડતી હોવાથી માન નદી ઉપરના કરંજવેરી બ્રિજને વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવા સ્થાનિકોની રજુઆતને લઇ અધિકારીઓએ નેશનલ હાઈવે-56 નો સ્થળ તપાસ અહેવાલ મેળવતા 19 ફેબ્રુઆરીએ અહેવાલ રજુ કર્યો હતો. જે અહેવાલમાં તેઓએ કરંજવેરી ગામ પાસે માન નદી ઉપર આવેલ બ્રિજ ઉપરથી ફક્ત ટુ-વ્હીલર, પેસેન્જર કાર, LMVs, ૨ એક્ષેલ ધરાવતી ફોર-વ્હીલરમીની બસ અને ૨ એક્ષેલ ધરાવતા ફોર-વ્હીલર હળવા કોમર્શીયલ વાહનો (તમામ વાહનો વધુમાં વધુ 8 ટનસુધીનું કુલ વજન ધરાવતા)ને 30 કિ.મી./કલાકની ગતિથી પસાર થાય તો સલામતીની દષ્ટિએ કોઈ વાંધા જનક બાબત જણાતી નથી. તેમજ નવો બ્રિજ બને ત્યાં સુધી ઉપરોક્ત જણાવેલ વાહનોને અવર-જવર માટે છુટછાટ આપી શકાય તેમ હોવાનું જણાવ્યું છે.
ધરપકડ:આંગડિયા પેઢીમાંથી પૈસા કે દાગીના લઈને નીકળતા લોકોને લૂંટતી ટોળકીના 2 પકડાયા
આંગડિયા પેઢીમાંથી પૈસા કે દાગીના લઈને નીકળતા લોકોનો પીછો કરી થોડે દૂર અકસ્માત થયો હોવાનું કહીને ઝગડો કરી લૂંટી લેતી છારા ગેંગના 2 સાગરિત પકડાયા છે. 6 સભ્યની આ ટોળકીએ 4 જ મહિનામાં આ રીતે 7 લૂંટ કરીને રૂ. 40થી 50 લાખનો મુદ્દામાલ લૂંટી લીધો હતો. મહત્ત્વનું છે કે આ ટોળકી સીજી રોડ પરના ઇસ્કોન આર્કેડની પેઢીમાં આવનારા લોકોને જ ટાર્ગેટ કરતા હતા. નગરી હૉસ્પિટલ પાસેથી 4 ફેબ્રુઆરીએ એક્ટિવામાં 5 કિલો ચાંદીને જઈ રતા શખ્સે અકસ્માત કર્યાનું કહીને રૂ. 12.48 લાખની ચાંદી લૂંટીને ટોળકી ભાગી ગઈ હતી. આ અંગે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી. દરમિયાનમાં ઝોન-7 એલસીબી પીઆઇ વાય. પી. જાડેજાએ ટીમ સાથે સીસીટીવી ચેક કરવાનું શરૂ કર્યું હતું. 350 ફુટેજ જોયા બાદ વાહનના નંબર તેમજ લોકેશનના આધારે પોલીસે પ્રતીક ઉર્ફે અંધો પ્રવિણ રાયલાલ પાનવેકર (28) અને શંકુલ યોગેશભાઈ રસીકભાઈ ભોગેકર (32) (કુબેરનગર, સરદારનગર)ને ઝડપી લીધા હતા. તેમની પાસેથી ચાંદીના 2 ચોરસા, રોકડા રૂ. 8 લાખ, બાઈક, 2 ફોન મળીને રૂ. 12.33 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો જ્યારે અજય ગાગડેકર, વિશાલ તનવાણી, સન્ની તમંચે અને રોજનીશ ગુમાને પકડવા તજવીજ શરૂ કરી હતી. આ ટોળકીએ 4 મહિનામાં એલિસબ્રિજ, રામોલ, સોલા, સરખેજ, ઓઢવ અને બોપલમાં આ જ રીતે 7 લૂંટ કરીને રૂ.50 લાખ જેટલો મુદ્દામાલ લઈ ગયા હતા.
ફરિયાદ:ક્રાઇમ બ્રાન્ચના નામે તોડ કરી યુવતીએ 7.49 લાખ પડાવ્યા
સ્પામાં નોકરી કરતી યુવતી અને તેના 2 સાગરિતે ક્રાઇમ બ્રાંચના માણસ તરીકે ઓળખ આપીને સ્પાના સંચાલક પાસેથી રૂ. 7.49 લાખ પડાવી લીધા હતા. ઘાટલોડિયાના વિનોદભાઈ દરજી (65)એ વર્ષ પહેલાં વસ્ત્રાપુર હિંડોલા કોમ્પ્લેક્સમાં શિવાની નામથી સ્પા-મસાજ પાર્લર શરૂ કર્યું હતું. તેમના સ્પામાં નોકરી કરતી યુવતી સાથે તેઓ 5મીએ કઢંગી હાલતમાં હતા ત્યારે યુવતીના 2 સાગરીત ક્રાઇમ બ્રાંચના માણસ બનીને આવ્યા હતા અને કેસ કરવાની ધમકી આપીને રોકડા 1.50 લાખ તેમજ સ્કેન કરીને 49 હજાર લઈ ગયા હતા. પછી 14મીએ બંનેે દારૂ પીતા હતા ત્યારે પણ 5 લાખ પડાવ્યા હતા. આ અંગે તેમણે ફરિયાદ નોંધાવી હતી.
વિવાદ:GUએ NSUIના કાર્યકરોના પ્રવેશ રદ કર્યો, કોંગ્રેસે આંદોલનની ચીમકી આપતાં ફરી ગઈ
ગુજરાત યુનિવર્સિટીમાં સંઘના કાર્યક્રમ મુદ્દે એનએસયુઆઈના વિરોધ પ્રદર્શન કાર્યક્રમ પછી વિવાદ સર્જાતાં યુનિવર્સિટીએ એનએસયુઆઇના કાર્યકરોનાં એડમિશન રદ કરીને કેમ્પસમાં પ્રવેશબંધીનો નિર્ણય કર્યો હતો. આ સમગ્ર વિવાદમાં ભાજપ સમર્થિત વિદ્યાર્થી સંગઠન એબીવીપીએ ઝંપલાવીને એનએસયુઆઈના બેનર્સ તોડી નાખતાં વિવાદ વકર્યો છે, તેવામાં કોંગ્રેસ પક્ષે એનએસયુઆઇના સમર્થનમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. જેના અનુસંધાને યુનિવર્સિટીએ યુ ટર્ન લઈને એડમિશન રદ કરવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. અલબત્ત આ કાર્યકરો સામે એફઆઇઆર કરવાની જાહેરાત કરી છે. દરમ્યાન બુધવારે કોંગ્રેસ પક્ષે કુલપતિ અને રજિસ્ટ્રાર ભાજપ અને સંઘના ઘૂંટણીયે પડી ગયા છે, રબર સ્ટેમ્પની જેમ વર્તે છે તેવો આક્ષેપ કરતાં વિવાદ વકરવાની સંભાવના છે. બુધવારે બપોરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. પાર્થિવરાજ સિંહે આક્ષેપ કર્યો હતો કે ‘કુલપતિ અને રજિસ્ટ્રાર ફરીથી સત્તા અને પદ ટકાવી રાખવા માટે હવાતિયાં મારી રહ્યાં છે. વિદ્યાર્થીઓને આપેલી નોટીસો તાત્કાલિક પાછી નહીં ખેંચાય તો કેમ્પસમાં હલ્લાબોલ કાર્યક્રમ યોજાશે. તાનાશાહી, અરાજકતા અને નિર્દોષ વિદ્યાર્થીઓને લક્ષ્યાંક બનાવાયા છે. યુનિવર્સિટીના સત્તાવાળાઓ એવો આક્ષેપ કર્યો છે કે વિદ્યાર્થીઓએ ગાંધીજીનું અપમાન કર્યું છે, પરંતુ હકીકત એ છે કે આ જ વિદ્યાર્થીઓએ ગોડસેના નાટકનો વિરોધ કર્યો હતો. તો શું આ વિદ્યાર્થીઓ ખરેખર ગાંધીજીનુ અપમાન કરી શકે ખરા? આ વિદ્યાર્થીઓ ગોડસેના વિરોધમાં અને ગાંધીજીના પક્ષમાં વાત કરી રહ્યા છે. કોંગ્રેસના ઓલ ઇન્ડિયા માઈનોરીટી વિભાગના વાઇસ ચેરમેન શાહનવાઝ શેખે જણાવ્યું કે ‘કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો અને વિરોધ પક્ષના અવાજને દબાવવા માટે સીસીટીવી ફૂટેજમાં છેડછાડ કરાયા છે.’
આયોજન:મા ભદ્રકાળી ઐતિહાસિક પોળોના ભક્તોને દર્શન દેશે, સાબરમતીની આરતી ઉતારશે
ગુરુવારે અમદાવાદનો 616મો જન્મદિવસ છે. વર્ષ 1411માં જે ભૂમિ પર અહમદશાહ બાદશાહે શહેરનો પાયો નાખ્યો હતો, તે નગરનાં રક્ષક દેવી મા ભદ્રકાળી ગુરુવારે ભક્તોને દર્શન આપવા રાજમાર્ગો પર નીકળશે. 616 વર્ષ સુધી આ પરંપરા લુપ્ત હતી પરંતુ ગત વર્ષથી આરંભાયેલી આ ભક્તિમય પ્રથા આજે દિવ્ય સ્વરૂપ ધારણ કરશે. આજની યાત્રામાં માત્ર ધર્મ નહીં, પણ ટૅક્નોલોજી અને પરંપરાનો સુમેળ જોવા મળશે. સવારે નિજ મંદિરથી પૂજા-અર્ચના બાદ મા ભદ્રકાળીની ચલિત મૂર્તિ સુવર્ણ જડિત રથમાં બિરાજમાન થશે. આ વખતે યાત્રાના રૂટમાં ખાસ ફેરફાર કરાયા છે, જેમાં હેરિટેજ પોળોનો સમાવેશ કરીને અમદાવાદની અસલ સંસ્કૃતિને જોડવાનો પ્રયાસ થયો છે. રસ્તામાં હજારો ભક્તો, અખાડા અને ભજન મંડળીઓ માનું સ્વાગત કરશે. આ યાત્રા માણેકચોક અને રતનપોળ થઈને જગન્નાથ મંદિર પહોંચશે, જ્યાં શક્તિ અને ભક્તિના બે પ્રતીકોનો મિલાપ થશે. યાત્રાનું નવું આકર્ષણ, ‘ટેબ્લો ઓફ હેરિટેજ’?આ વર્ષની યાત્રામાં પહેલી વાર 15થી વધુ વિશેષ ટેબ્લો જોડવામાં આવ્યા છે. જેમાં અમદાવાદના 615 વર્ષના ઈતિહાસની ઝાંખી રજૂ કરાશે. ખાસ કરીને સાબરમતી રિવરફ્રન્ટ પર જ્યારે યાત્રા પહોંચશે ત્યારે 11 ભૂદેવો દ્વારા નદીની શાસ્ત્રોક્ત વિધિથી આરતી કરવામાં આવશે, જે કાશીની ગંગા આરતીની યાદ અપાવશે. સ્ટુડન્ટ ફ્રેન્ડલી યાત્રા, પરીક્ષાર્થીઓને નો-ટેન્શનગુરુવારે બોર્ડની પરીક્ષા હોવાથી મંદિર ટ્રસ્ટ અને પોલીસ પ્રશાસને ખાસ પ્લાનિંગ કર્યું છે. યાત્રા જે શાળાઓ પાસેથી પસાર થશે ત્યાં ‘સાયલન્ટ ઝોન’ જાહેર કરાયો છે. લાઉડ સ્પીકર બંધ રખાશે અને પરીક્ષાર્થીઓને ટ્રાફિક ન નડે તે માટે સ્વયંસેવકો ‘માનવ સાંકળ’ બનાવીને રસ્તો ક્લિયર રાખશે.
નોટિસ:સિસોદ્રા (ગ)ની મેઘદૂત સોસા.ના 30 પરિવારો પર બેઘર થવાનું સંકટ ઘેરાયું
નવસારી તાલુકાના સિસોદ્રા (ગણેશ) ગામે આવેલી મેઘદૂત સોસાયટી (રબારીવાસ)ના રહીશોએ પોતાનું આશિયાણું બચાવવા માટે કલેક્ટરને ભાવુક રજૂઆત કરી છે. છેલ્લા 55 વર્ષથી સર્વે નં. 146 વાળી જમીન પર કાચા-પાકા મકાનો બનાવી રહેતા 30 જેટલા પરિવારો અત્યારે ઘરવિહોણા થઈ જવાની ભીતિ સેવી રહ્યાં છે. રહીશોએ કલેકટરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, આ જમીન પર વર્ષોથી તેમના તબેલા અને મકાનો આવ્યા છે. ગ્રામ પંચાયત દ્વારા મિલકત આકારણી થઇ છે, વેરા બીલો ભરાય છે અને વીજ કનેક્શન પણ ધરાવે છે. ચૂંટણીમાં પણ તેઓ અહીંથી જ મતદાન કરે છે. જો અત્યારે તેમને અહીંથી હટાવવામાં આવશે, તો 30 પરિવારો અને પશુધન સાથે તેઓ નિરાધાર થઈ જશે. પોતાની જિંદગીભરની મૂડી મકાન બનાવામાં ખર્ચી નાંખનાર આ શ્રમજીવી પરિવારોએ કલેક્ટરને ન્યાય અપાવવા અને માનવતાના ધોરણે તેમને બેઘર ન કરવા વિનંતી કરી છે. હાલ જમીનના માલિકે નોટિસ પાઠવી દબાણ દૂર કરવા તાકીદ કરી છે. જેથી સ્થાનિકો દ્વારા કલેકટરને રાવ કરવામાં આવી છે.
નવસારીના વિજલપોર વિસ્તારમાં ટૂંક સમયમાં મેવાડના તેજસ્વી સૂર્ય ગણાતા મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપિત થવા જઈ રહી છે. આશાપુરી મંદિર પાસે આવેલા સર્કલ પર આ પ્રતિમાના ફાઉન્ડેશનમાં રાજસ્થાનના હલ્દીઘાટી અને કુંભલગઢથી ખાસ મંગાવવામાં આવેલી પવિત્ર માટી અર્પણ કરવામાં આવી છે, જે સમગ્ર પંથકમાં ચર્ચા અને આકર્ષણનું કેન્દ્ર બની છે. વિજલપોર વિસ્તારમાં વસતા વિવિધ પ્રાંતના લોકોમાં આ સ્મારકને લઈને ભારે ઉત્સાહ છે. પછી તે ઉત્તર ભારતીય હોય, બિહારી હોય, મહારાષ્ટ્રીયન હોય કે સૌરાષ્ટ્રના રાજપૂત હોય, તમામ ક્ષત્રિય સમાજના લોકો એકઠા થઈને આ ભવ્ય કાર્યમાં સહભાગી બની રહ્યા છે. આ પ્રતિમા જયપુરમાં તૈયાર કરવામાં આવશે. જયપુરમાં પ્રતિમાનો ફાઈનલ ઓર્ડર આપી દેવાયો છે. જયપુરના કુશળ કારીગરો દ્વારા આગામી 2 મહિનામાં પ્રતિમા તૈયાર કરી દેવામાં આવશે. સંપૂર્ણ સર્કલનું કામકાજ અને ઉદઘાટન વિધિ આગામી 3 થી 4 મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રખાયું છે. આવનાર પેઢીને પ્રેરણા આપવાનો પ્રયાસમહારાણા પ્રતાપના શૌર્યની સાક્ષી રહેલી હલ્દીઘાટીની રણભૂમિ અને તેમના જન્મસ્થળ કુંભલગઢની માટી આ પ્રતિમાના પાયામાં નાંખવામાં આવી છે. આ પહેલ પાછળનો હેતુ આવનારી પેઢીઓને મહારાણા પ્રતાપના ત્યાગ, સમર્પણ અને ગૌરવશાળી ઇતિહાસની સતત પ્રેરણા મળતી રહે તેવો છે.> રમેશભાઈ જાદવ, રાજપૂત અગ્રણી
જન્મદિન સંભારણું:વેસ્મા ગામના હોવા છતાં મનમોહન દેસાઇની મૂળવતન નવસારી પંથકમાં કોઈ સ્મૃતિ નહીં
મૂળ વતન નવસારી વેસ્માના અને બોલિવૂડમાં લગભગ એક દશક રાજ કરનાર મનમોહન દેસાઇની કોઈ સ્મૃતિ તેમના વતનમાં નથી. 26 ફેબ્રુઆરીનો દિવસ બોલિવૂડના જાણીતા નિર્માતા, દિગ્દર્શક મનમોહન દેસાઈનો જન્મ દિવસ છે. 1937માં તેમનો જન્મ થયો હતો. જન્મ તો મુંબઇમાં થયો હતો પણ તેમનું મૂળ વતન નવસારીનું વેસ્મા હતું. વેસ્મા છોડી બાદમાં તેમના પૂર્વજો બાજુના ગામ નવસારીના જ સંદલપોરમાં જમીન રાખી સ્થાયી થયા હતા, જ્યાં તેમના કુટુંબીઓની આજે પણ જમીન છે. આમ તો મનમોહન દેસાઈએ સક્રિય રીતે 25થી વધુ વર્ષ બોલિવૂડમાં નિર્માતા દિગ્દર્શક તરીકે કામ કર્યું પણ 1975થી 85નો લગભગ એક દશકો તેમનો અને અમિતાભ બચ્ચનનો કહેવાતો હતો. આ સમય દરમિયાન અમર અકબર એન્થની, ધર્મવીર, નસીબ, પરવરીશ, કુલી સહિત અનેક બ્લોક બસ્ટર ફિલ્મો આપી, જેણે તે સમયે કમાણીમાં બોલિવૂડમાં તે સમયના રેકર્ડ તોડ્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે નવસારી વતન નહીં હોય તેવા અનેક વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, મહાનુભાવોની શહેરમાં રોડ નામકરણ, પ્રતિમા યા અન્ય રીતે સ્મૃતિ જળવાઈ છે પણ મનમોહન દેસાઇ મૂળતઃ નવસારી પંથકના હોય અને દેશના ટોચના ફિલ્મ વ્યક્તિ હોવા છતાં કોઈ સ્મૃતિ નથી. અહીં ઉલ્લેખનીય છે કે, વાંસદામાં ત્યાંના સુપુત્ર જયકિશનની સ્મૃતિ સચવાઇ છે. કુળદેવીના દર્શને અવારનવાર આવતામનમોહન દેસાઈના દીકરા કેતન દેસાઇ તો મોટાભાગે મુંબઈ રહે છે પણ તેમના કુંટુંબના યતીન દેસાઈ વેસ્મા નજીકના સંદલપોરમાં રહે છે, જમીન પણ છે. તેઓ જણાવે છે કે મનમોહનજી પલસાણા સ્થિત તેમની કુળદેવી ઘરડી માતાના દર્શને આવતા હતા. તુફાન ફિલ્મ ટાણે તો હેલીકોપ્ટરમાં આવ્યા હતા. તેમનો દીકરો કેતન પણ મારી સાથે વતન કુળદેવીના દર્શને આવે છે.
સેવા કેમ્પનું આયોજન:કેસરા હનુમાન મંદિરે ડાકોર સંઘ માટે સૌથી મોટો 100 ફૂટનો સેવા કેમ્પ શરૂ
ડાકોર ધામની પદયાત્રા માટે અમદાવાદ શહેર ભક્તિ અને સેવાભાવથી ધબકી રહ્યું છે. શહેરના ત્રિવેદી પરિવાર દ્વારા કેસરા હનુમાન મંદિર ખાતે ડાકોર જતાં સંઘો માટે વિશાળ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અગિયારસથી પૂનમ સુધી ચાલનાર આ કેમ્પ યાત્રાળુઓ માટે આશીર્વાદ સમાન બનશે. અમદાવાદથી ડાકોર સુધી આશરે 150થી વધુ સંઘો પગપાળા યાત્રા કરશે. કેમ્પમાં લગભગ 1500 યાત્રાળુઓ આરામથી રોકાઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં ભોજન, પાણી, આરામ, તબીબી મદદ સહિત 24 કલાક વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. દરેક સંઘના આગમન સમયે ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત અને દર્શન-આરતીનું આયોજન કરવામાં આવશે, જે યાત્રાળુઓમાં આધ્યાત્મિક ઉર્જા વધારશે. કેમ્પ ખાતે સેવા સેન્ટરની પણ શરૂઆત કરવામાં આવી છે જેથી યાત્રાળુઓને માર્ગદર્શન અને સહાય સરળતાથી મળી રહે. જાગૃતિ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આ સેવા યાત્રાળુઓને સુવિધા આપવાનો માત્ર પ્રયાસ નથી, પરંતુ ભક્તિ સાથે માનવસેવાનો સંકલ્પ છે. આ આયોજન અમદાવાદના લોકો માટે સેવા અને સંસ્કારનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે. દર વર્ષે કેમ્પનું આયોજન કરવામાં આવે છે, પરતું આ વર્ષે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર મંદિર તેમ જ 5 વીઘા જગ્યામાં આ પ્રકારના કેમ્પ યોજાશે, આ કાર્ય માટે ત્રિવેદી પરિવાર તથા ટ્રસ્ટના 50થી વધુ લોકો સેવાનો લાભ આપશે. દિવસ દરમિયાન 3 સમય ભોજન વિતરણ કરવામાં આવશે. કેમ્પની મુખ્ય સુવિધાઓ • ડાકોર જનારા 1500 યાત્રાળુઓ માટે રોકાણ વ્યવસ્થા • ડાકોર પદયાત્રીઓ માટે 24 કલાક ભોજન, પાણી અને આરામ સુવિધા • તબીબી સહાય અને માર્ગદર્શન કેન્દ્ર •ઢોલ-નગારા સાથે સ્વાગત અને આરતી કાર્યક્રમ • અગિયારસથી પૂનમ સુધી સતત સેવા •સેવા સેન્ટર દ્વારા સહાય અને માહિતી

28 C