SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

37    C
...

વડોદરામાં ધુળેટીમાં રંગ લગાવવાની અદાવતમાં હુમલો:પોલીસકર્મી અને તેના મિત્ર પર ચાકુથી હુમલો કર્યો, બંનેને આઠ-આઠ ટાંકા આવ્યા, ત્રિપુટી સામે ફરિયાદ

વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેતો યુવક તેના પોલીસ કર્મચારી સહિતના મિત્રો સાથે ધુળેટીના દિવસે અન્ય મિત્રોને રંગ લગાવવા માટે ગયો હતો. આ દરમિયાન મિત્ર નશાની હાલતમાં હોવાથી ગાળો બોલવા લાગ્યો હતો. જેથી યુવક ત્યાંથી નીકળીને દુમાડ ચોકડી પાસે પહોંચ્યો હતો ત્યારે તેના મિત્ર સહિતની ત્રિપુટી ત્યાં આવીને રંગ લગાવવાની અદાવતે ઝઘડો ઝઘડો કરી માર મારતા હતા. પોલીસ કર્મી યુવક અને પિતરાઈ મિત્રને છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા. ત્રિપુટી એ પોલીસ કર્મચારી અને તેના મિત્ર પર ચાકુથી હુમલો કર્યો હતો. સમા પોલીસે હુમલાખોર ત્રિપુટી ને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા જોયેલ નગરમાં રહેતા આશિષ અશોકભાઈ અગ્રવાલ મૂળ રાજસ્થાનના છે. હોળીનો તહેવાર હોવાથી તેઓ પિતરાઈ ભાઈ રાહુલ અગ્રવાલના ઘરે હોળી-ધુળેટીનો તહેવાર ઉજવવા માટે આવ્યા હતા. 4 માર્ચના રોજ ધુળેટીનો તહેવાર હોવાથી બપોરે આશરે ત્રણ વાગ્યે આશિષ અગ્રવાલ તેમના પિતરાઈ ભાઈ રાહુલ સાથે ધુળેટી રમવા માટે તેના મિત્ર પોલીસ કર્મી કુલદીપદાન ગઢવી અને નીશીત પરમાર સાથે રાહુલની કાર લઈ નીકળ્યા હતા. ધુળેટી રમતા રમતા તેઓ તેમના પિતરાઈ ભાઈના મિત્ર વિઠ્ઠલભાઈ ભરવાડની ઓફિસે વિઠલ ભરવાડને રંગ લગાડવા માટે ગયા હતા. ત્યારે કુલદીપદાન ગઢવી કારમાં બેઠેલા હતા. તે દરમિયાન યુવકના ભાઈના મિત્ર અનુજ ભદોરિયા તેમના અન્ય મિત્રો સાથે ત્યાં આવી પહોંચ્યા હતા. ત્યારબાદ રાહુલ અગ્રવાલ અનુજ ભદોરિયાને રંગ લગાડવા માટે ગયા હતા.ત્યારે રંગ લગાડવાની બાબતે અનુજ ભદોરિયા રાહુલને ગાળો બોલવા લાગ્યો હતો અને તે નશાની હાલતમાં લાગતો હતો. ત્યારબાદ આશિષ સહિતના મિત્રો નાસ્તો કરવા માટે સમા સાવલી પર પિઝા પાર્સલ કરાવવા માટે ઉભા હતા. આ દરમિયાન અનુજ ભદોરિયાએ રાહુલ અગ્રવાલને ફોન કરીને “તું ક્યાં છે?” એમ પૂછતાં રાહુલે સમા-સાવલી રોડ પર હોવાનો જવાબ આપ્યો હતો. થોડીવારમાં અનુજ ભદોરિયા તેના અન્ય સાથી મિત્રો સાથે ત્યાં આવી પહોંચ્યો હતો. ત્યારબાદ રાહુલ અગ્રવાલ સાથે ઝઘડો કર્યો હતો. તેઓ ત્યાંથી નીકળી દુમાડ રોડ તરફ પહોંચ્યા હતા. એક્ટિવા પર અનુજ ભદોરિયાના બે મિત્રો અમન ઠાકુર અને અંકિત પરમાર ઉર્ફે દાતરો ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે કાર સાઇડમાં ઉભી રાખાવી પથ્થર મારી ગાડીનો કાચ તોડી નાખ્યો હતો અને રાહુલ અગ્રવાલ સાથે મારામારી કરી હતી. તે સમયે કુલદીપદાન ગઢવી અને નીશીત પરમાર વચ્ચે પડતા હુમલાખોરોએ ચાકુ વડે આશિષ અગ્રવાલ તથા પોલીસ કર્મી કુલદીપદાન ગઢવી પર હુમલો કર્યો હતો. હુમલામાં બંને લોહીલુહાણ થઈ ગયા હતા. તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આશિષ અગ્રવાલ અને પોલીસ કર્મી કુલદીપદાન ગઢવીને ઘા વાગતા ટાંકા આવ્યા હતા. આ બનાવ અંગે આશિષ અગ્રવાલે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે હુમલાખોર ત્રિપુટીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઈજાગ્રસ્ત થયેલા પોલીસ કર્મચારી કુલદીપદાન ગઢવી જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવે છે.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 2:22 pm

રાજકોટમાં રૂ. 470 કરોડના વિકાસકામો મંજૂર:છેલ્લી સ્ટેન્ડિંગમાં ગ્રીન રિંગરોડ, સ્ટાફ ક્વાર્ટર સાથેનું નવું ફાયર સ્ટેશન, જ્યુબિલી શાકમાર્કેટનું રિનોવેશન, આરોગ્ય કેન્દ્ર-સ્પોર્ટ્સ સંકુલ સહિતનાં કામોને લીલીઝંડી

રાજકોટ મહાપાલિકાના વર્તમાન શાસકોનો કાર્યકાળ પૂર્ણ થાય તે પૂર્વે આજે સ્ટેન્ડિંગ કમિટીની અંતિમ બેઠક મળી હતી. આ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ માટે કુલ 115 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી, જેમાંથી 106 દરખાસ્તોને મંજૂરીની મહોર મારવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ. 470 કરોડનાં વિકાસકામોને બહાલી આપવામાં આવી છે, જ્યારે બિનજરૂરી હોય તેવા રૂ. 90 કરોડથી વધુના ખર્ચવાળા કામોને કમિટીના સભ્યો અને ચેરમેન દ્વારા અટકાવી દેવામાં આવ્યા છે. બેઠકમાં મુખ્યત્વે રૂ. 220 કરોડના ખર્ચે ગ્રીન રિંગરોડ, રૂ. 30 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન, જ્યુબિલી શાક માર્કેટનું રિનોવેશન, નવું આરોગ્ય કેન્દ્ર અને સ્પોર્ટ્સ સંકુલ સહિતનાં કામોને લીલીઝંડી આપવામાં આવી છે. જ્યારે કર્મચારીઓના હિતમાં તબીબી સહાયમાં ધરખમ વધારો કરવા જેવા મહત્વના નિર્ણયો લેવાયા છે. મુખ્યમંત્રી ગ્રીન રોડ યોજના અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર રાજકોટ શહેરના ટ્રાફિકના ભારણને હળવો કરવા અને પર્યાવરણની જાળવણી માટે વેસ્ટ ઝોન હેઠળના 150 ફૂટ રિંગ રોડ-2 ને જોડતા રસ્તાઓને ફોર લેન બનાવાનું આયોજન કરાયું છે. અગાઉ પ્રોજેક્ટ માટે રૂ. 120.79 કરોડની જોગવાઈ હતી, પરંતુ રાજ્ય સરકારના સૂચનો બાદ હવે રૂ. 220.82 કરોડના ખર્ચે આ ગ્રીન રિંગરોડ વિકસાવવામાં આવશે. આ ઉપરાંત, રૈયા ગામથી સ્માર્ટ સિટી સુધીના ડીપી રોડને રૂ. 18.58 કરોડના ખર્ચે ડેવલપ કરવાની દરખાસ્તને પણ મંજૂરી અપાઈ છે. શહેરના તમામ ઓવરબ્રિજ - અંડરબ્રિજના સમયાંતરે નિરીક્ષણ અને રિપેરિંગ માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવાનો નિર્ણય પણ લેવાયો છે. આજીડેમ પાસે નવું ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સ વોર્ડ નં. 15 માં આજીડેમ ટ્રાફિક પોલીસ સ્ટેશનની પાછળ મનપાના પ્લોટમાં રૂ. 30.16 કરોડના ખર્ચે નવું ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ માત્ર ફાયર સ્ટેશન પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં આધુનિક સુવિધાઓનો સમાવેશ કરાયો છે. બેઝમેન્ટમાં 27 કાર અને 65 ટુ-વ્હીલરનું પાર્કિંગ, ગ્રાઉન્ડ ફ્લોર પર 6 ફાયર ફાઈટર ગાડીઓ માટેની વ્યવસ્થા, વર્કશોપ અને કંટ્રોલ રૂમ બનશે. વધુમાં, આ જ બિલ્ડિંગના ઉપરના માળ પર અધિકારીઓ અને કર્મચારીઓ માટે 3-BHK ના 4 ફ્લેટ અને 2-BHK ના 64 ફ્લેટ બનાવવાનું આયોજન છે. કર્મચારીઓ માટે તબીબી સહાયમાં 200% નો વધારો મનપાના વર્ગ 1 થી 4 ના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લેતા તબીબી સહાયની મર્યાદા રૂ. 1 લાખથી વધારીને રૂ. 3 લાખ કરવામાં આવી છે. મોંઘી સારવારને પહોંચી વળવા માટે 21 પ્રકારની ગંભીર બીમારીઓમાં આ સહાય મળશે. હવે કર્મચારીઓ માત્ર સરકારી જ નહીં, પણ જિલ્લા કક્ષાએ નોંધાયેલી કોઈપણ માન્ય સિંગલ કે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર લઈ શકશે. જોકે, વ્યસનથી થતા રોગો, કોસ્મેટિક સર્જરી કે આત્મહત્યા જેવા કિસ્સાઓમાં આ સહાય મળવાપાત્ર રહેશે નહીં. જ્યુબિલી શાક માર્કેટનું રિનોવેશન અને સ્થળાંતર રાજકોટની ઐતિહાસિક એવી જ્યુબિલી શાક માર્કેટના રિનોવેશનની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. હાલમાં લાખાજીરાજ શાક માર્કેટના વેપારીઓને પણ અહીં ખસેડાયા હોવાથી, હવે આ બંને માર્કેટના વેપારીઓને અન્યત્ર કામચલાઉ જગ્યાએ સ્થળાંતરિત કરવામાં આવશે. સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે વેપારીઓના સ્થળાંતર માટે મનપા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે અને નજીકમાં જ યોગ્ય જગ્યાની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. વધારાની ગ્રાન્ટની માંગણી અને અન્ય કામો સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વર્ષ 2025-26 માટે મનપાને રૂ. 515 કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ છે. જોકે, વિકાસના કામોની ગતિ જોતા મનપાએ આંતરમાળખાકીય સુવિધાઓ માટે રૂ. 734 કરોડ અને અન્ય કામો મળી કુલ રૂ. 1030 કરોડનું આયોજન કર્યું છે. આથી, મંજૂર થયેલી ગ્રાન્ટ ઉપરાંત વધારાની રૂ. 256.44 કરોડની ગ્રાન્ટ મેળવવા માટે રાજ્ય સરકારને દરખાસ્ત મોકલવામાં આવી છે. સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરના જણાવ્યા અનુસાર આજની છેલ્લી બેઠકમાં રૂ. 470 કરોડનાં વિકાસકામો મંજુર કરવામાં આવ્યા છે. જોકે બિનજરૂરી જણાતા રૂ. 90 કરોડનાં કામો પેન્ડિંગ રાખીને કે નામંજૂર કરીને ખોટા ખર્ચાઓ અટકાવવામાં આવ્યા છે. અને વધારાનો ખર્ચ અટકાવીને અમે પ્રજાના પૈસાનો સદુપયોગ કર્યો છે. આ સહિતની તમામ સ્ટેન્ડિંગની બેઠકોમાં પ્રજાના નાણાનો દુરુપયોગ ન થાય તે માટે તમામ દરખાસ્તોનો ઝીણવટ પૂર્વક અભ્યાસ કરીને લોકો માટે અને રાજકોટનાં વિકાસ માટે જરૂરી હોય તેવા કામો મંજુર કરવામાં આવતા હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. આજની બેઠકમાં રિટેન્ડર કરાયેલી દરખાસ્તો રાજકોટનાં ભગવતીપરા પાસે બેઠું નાલું બનાવવાની દરખાસ્તઓમ પાર્ક મેઈન રોડ પર બ્રીજ બનાવવા માટેનું કામરાજકોટનાં સેન્ટ્રલ અને ઇસ્ટ ઝોનનાં બાગ-બગીચાનાં એક વર્ષનાં મેન્ટેનન્સ માટેની દરખાસ્તકાલાવડ રોડ અને નાનામૌવા રોડ વચ્ચેના વિસ્તારમાં ડીઆઈ પાઇપલાઇન નાખવાનું કામનિર્મલા રોડ, કાલાવડ રોડ અને સહકાર નગર વચ્ચેના વિસ્તારમાં ડીઆઈ પાઇપલાઇન નાખવાનું કામ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નામંજૂર કરાયેલી દરખાસ્તોની વાત કરીએ તો રાજકોટનાં ત્રણેય ઝોનનાં રસ્તાઓની બે વર્ષ જાળવણી કરવા માટેના ખર્ચને નામંજૂર કરાયો છે. અનેઘંટેશ્વર ફિલ્ટર પ્લાન્ટથી સૈનિક સોસાયટી સુધી 508 મીમી પાઇપલાઇન નાખવાનું કામ પણ નામંજૂર કરાયું હતું. આ સિવાય વોર્ડ નંબર 10માં નવી વોર્ડ ઓફીસ તેમજ રોશની શાખાનો સ્ટોર બનાવવાની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી. જ્યારે રાજકોટનાં જુદા જુદા સ્થળે પે એન્ડ પાર્કિંગ બનાવવાની દરખાસ્તમાં 4 સાઇટ મંજુર અને બાકીની 3 સાઇટ નામંજૂર કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આગામી 11 માર્ચના રોજ ભાજપનાં ચાલુ ટર્મનાં શાસકોનો કાર્યકાળ પૂર્ણ થનાર છે. તે પહેલાં આજે સ્ટેન્ડિંગ કમિટીની અંતિમ બેઠક મળી હતી. જેમાં અધધ 115 દરખાસ્તો આવી હતી. આ પૈકી આજે 106 જેટલી દરખાસ્તો મંજુર કરી દેવામાં આવી છે. ઉપરાંત શક્ય તેટલા વધુ ખાતમુહૂર્ત પણ શાસકો આગામી 11 માર્ચ પહેલા કરી નાખશે. આગામી ચૂંટણીમાં લાભ લેવા માટે છેલ્લી બે સ્ટેન્ડિંગમાં કરોડો રૂપિયાના વિકાસકામો મંજુર કરી દેવામાં આવ્યા છે. ત્યારે આ પૈકીનાં કેટલા કામો પુરા થાય છે તે તો આવનારો સમય જ બતાવશે.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 2:16 pm

નવસારી સિવિલમાં ધૂળેટીએ 36 ઈમરજન્સી કેસ નોંધાયા:ધુળેટી તહેવારમાં ઈમરજન્સી કેસોમાં વધારો, હોસ્પિટલ તંત્ર આખો દિવસ દોડતું રહ્યું

નવસારી જિલ્લામાં ધૂળેટીના પર્વની ઉજવણી દરમિયાન અકસ્માતો અને બેદરકારીના કિસ્સાઓ નોંધાયા હતા. નવસારી સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં ધૂળેટીના દિવસે કુલ 36 કેસ દાખલ થયા હતા, જેના કારણે હોસ્પિટલ તંત્ર સક્રિય બન્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, ધૂળેટી રમતી વખતે ઈજાગ્રસ્ત થયેલા 21 લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, અન્ય 15 જેટલા લોકો જુદા જુદા સ્થળોએ પટકાવાના કારણે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને તાત્કાલિક તબીબી સારવારની જરૂર પડી હતી. ઈમરજન્સી વિભાગમાં ટૂંકા ગાળામાં કેસોની સંખ્યામાં વધારો થતાં, હોસ્પિટલના તબીબી સ્ટાફે ખડેપગે રહીને તમામ દર્દીઓને ઝડપથી સારવાર પૂરી પાડી હતી. સામાન્ય રીતે હોળી-ધૂળેટી જેવા તહેવારોમાં લોકોના ઉત્સાહને કારણે અકસ્માતો થતા હોય છે. નવસારી સિવિલમાં નોંધાયેલા આ કેસો દર્શાવે છે કે, તહેવાર દરમિયાન થોડીક બેદરકારી પણ ગંભીર ઈજામાં પરિણમી શકે છે. દર વર્ષે તહેવારોના દિવસોમાં ઈમરજન્સી કેસોમાં વધારો થવો એ આરોગ્ય અને વહીવટી તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં સિવિલ હોસ્પિટલ દ્વારા તમામ ઈજાગ્રસ્તોની યોગ્ય સારવાર ચાલી રહી છે અને પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 2:08 pm

VIDEO: અમદાવાદની SVP હોસ્પિટલમાં દર્દીઓ પર પ્રયોગો થતા હોવાનો આક્ષેપ, વીડિયો બનાવનાર યુવતીની માતાનું મોત

SVP Hospital Ahmedabad Controversy : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 800 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી અત્યાધુનિક SVP હોસ્પિટલની વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સોશિયલ મીડિયા પર ક્ષિતિશા સોની નામની યુવતીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેણે રડતા અવાજે હોસ્પિટલના ડોક્ટરો પર બેદરકારી અને આયુષ્માન કાર્ડના નામે દર્દીઓ પર 'પ્રયોગો' કરવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો છે. તેની માતા ગીરાબેન સોનીને અસ્થમા અને ડાયાબિટીસની તકલીફ હોવાથી SVP હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેમનું ગઈ કાલે બુધવારે રાત્રે સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. જેને કારણે આ વિવાદ વધુ વકર્યો છે.

ગુજરાત સમાચાર 5 Mar 2026 2:04 pm

આવાસ યોજનામાં તંત્રની ઉદાસીનતા સામે શ્રમિકોનો રોષ:ગારીયાધારના રહીશો આવાસ યોજના મુદ્દે ભાવનગર વિકાસ વિસ્તાર સતા મંડળ કચેરી ખાતે દોડી ઉગ્ર રજુઆત કરાઈ

ગારીયાધાર શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરનું ઘર મેળવવા માટે ગરીબ અને શ્રમિક પરિવારો છેલ્લા દોઢ-બે વર્ષથી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે, સ્થાનિક સ્તરે કોઈ સાંભળનાર ન હોવાથી અંતે કંટાળેલા લોકોએ આજે ભાવનગર વિકાસ વિસ્તાર સતા મંડળ ની કચેરી ખાતે દોડી આવી આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી, ભાવનગર જિલ્લા ના ગારિયાધાર તાલુકાના રહેવાસીઓ આવાસ યોજના હેઠળ ઘરનું ઘર મેળવવા માટે રજુઆત કરવા ભાવનગર વિકાસ વિસ્તાર સતા મંડળ ની કચેરી ખાતે દોડી આવ્યા હતા, ​રજૂઆત કરવા આવેલા આગેવાન રાકેશ પરમાર અને સ્થાનિકોએ જણાવ્યું કે, ગારીયાધારમાં મોટાભાગના લોકો હીરા ઘસવાનું કામ કરે છે અથવા ખેત મજૂરી કરીને દિવસના માંડ ટકનું કમાઇ ને ખાય છે અત્યારે હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીને કારણે સ્થિતિ વધુ કફોડી બની છે આવામાં ભાડાના મકાનમાં રહેવું અને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે, દોઢ વર્ષ પહેલા આવાસ માટે ફોર્મ ભર્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી, ​​શ્રમિકોએ ગારીયાધાર નગરપાલિકાના વહીવટ સામે ભારે નારાજગી વ્યક્ત કરતા આક્ષેપ કર્યો હતો કે, ​નગરપાલિકા અને મામલતદાર કચેરીમાં વારંવાર રજૂઆત છતાં કોઈ પરિણામ મળ્યું નથી.​ચીફ ઓફિસર કચેરીમાં હાજર હોતા નથી, જેના કારણે ગરીબ લોકોએ કલાકો સુધી ભૂખ્યા-તરસ્યા બેસી રહેવું પડે છે, ​મહિલાઓ પોતાના નાના બાળકોને ઘરે મૂકીને રજૂઆત માટે આવે છે, પરંતુ અધિકારીઓ તેમની પીડા સમજવા તૈયાર નથી, ​ભાવનગર ખાતેની રજૂઆત બાદ અધિકારીઓએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે, અધિકારીઓએ ગ્રામજનોને આશ્વાસન આપ્યું છે કે વહેલી તકે DPR તૈયાર કરવામાં આવશે અને આવાસના ફોર્મ પાસ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે. આ કામગીરી માટે વલભીપુરના અધિકારીને પણ જવાબદારી સોંપવામાં આવી હોવાનું જણાવ્યું હતું અને જો આગામી દિવસોમાં કામગીરી શરૂ નહીં થાય તો આગામી સમયમાં લડત વધુ તેજ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 2:00 pm

રાજકોટના આરોગ્ય વિભાગના સરકારને ઉલ્ટા ચશ્મા:સિવિલ હોસ્પિટલમાં એક પણ શ્વાન ન હોવાનો રિપોર્ટ ભાસ્કરના રિયાલિટી ચેકમાં ખોટો સાબિત, શહેર - જિલ્લાના 115 આરોગ્ય કેન્દ્રમાં માત્ર 23 શ્વાન !

સુપ્રીમ કોર્ટ દ્વારા દેશમાં ડોગ બાઈટના કેસો પર નિયંત્રણ માટે દેશની આરોગ્ય સંસ્થાઓમાં શ્વાનોની ગણતરી કરવાનો આદેશ અપાયો. જેની અમલવારી રૂપે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રમાં કેટલા શ્વાન છે તેનો રિપોર્ટ માંગવામાં આવ્યો. જેમાં રાજકોટ શહેર અને જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા સરકારને ઉલ્ટા ચશ્મારૂપ રિપોર્ટ આપ્યો હોવાનું સામે આવ્યુ છે. આશ્ચર્યજનક રીતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક પણ શ્વાન નથી તેવો રિપોર્ટ અપાયો. જોકે દિવ્યભાસ્કરના રિયાલિટી ચેકમાં આ રિપોર્ટ મનઘડંત હોવાનું સામે આવ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દિવ્ય ભાસ્કર ડિજિટલ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે સામે આવ્યું કે અહીં એક નહીં પરંતુ અનેક શ્વાન આંટાફેરા મારે છે. સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં તેમજ અલગ - અલગ વોર્ડ કે જ્યાં દર્દીઓ દાખલ થાય છે ત્યાં મોટી સંખ્યામાં રખડતા શ્વાન નજરે પડ્યા હતા. જેનાથી સૌરાષ્ટ્રની સૌથી મોટી આ હોસ્પિટલમાં ડોગ બાઈટનું જોખમ ઉભું થયુ છે. જોકે સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા સબસલામત હોય તેમ મનઘડંત રિપોર્ટ આપવામાં આવ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના મીડિયા કો - ઓર્ડીનેટર ડૉ.કમલસિંહ ડોડિયાએ જણાવ્યું હતું કે, અમારી પાસે જે સાધનો છે તેના દ્વારા ગણતરી કરવામાં આવી તો રાજકોટ સિવિલ હોસ્પિટલ અને જનાના હોસ્પિટલમાં એક પણ શ્વાન નથી. જોકે હાલ સિવિલ હોસ્પિટલમાં અમુક જગ્યાએ શ્વાન દેખાય છે તેવું પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે ટેકનિકલ માણસો દ્વારા આ ગણતરી કરવામાં આવી હશે. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. મોનાલી માંકડિયાની સૂચનાથી સિવિલ હોસ્પિટલમાં એક પણ શ્વાન આંટાફેરા ન મારે તેની તકેદારી રાખવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ડોગ બાઈટ એ ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ પ્રશ્ન છે. શ્વાન પ્રેમીઓનો શ્વાન પ્રત્યેનો પ્રેમ યોગ્ય છે પરંતુ તે સમાજને કેટલું નુકસાન કરે છે અથવા તો ડોગ બાઈટ ના જે કિસ્સાઓ બને છે તે ન બને તે પણ એટલું મહત્વનું છે. શ્વાન જાહેર આરોગ્યને ભયરુપ થાય તે જરા પણ ચલાવી ન શકાય. જ્યારે રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી ફૂલમાડીએ જણાવ્યું હતું કે, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા 84 આરોગ્ય કેન્દ્રમાં 23 શ્વાન છે. જેનો રિપોર્ટ સરકારને આપવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે શહેરના 31 આરોગ્ય કેન્દ્રમાં એક પણ શ્વાન નથી. જોકે શહેર અને જિલ્લાનો આ રિપોર્ટ સત્યથી વેગડો હોય તેવું લાગી રહ્યુ છે. રાજકોટ જિલ્લાનાં આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલમાં શ્વાનોના આંકડાં આરોગ્ય સંસ્થા - સંખ્યા -શ્વાન પીએચસી - 55 - 05સીએચસી - 12 -07યુપીએચસી - 12- 00સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ - 05- 11સિવિલ હોસ્પિટલ - 01 - 00શહેરના આરોગ્ય કેન્દ્રો - 31 -00

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 1:59 pm

ગુજરાત યુનિવર્સિટી કન્વોકેશન સેન્ટરને ‘વિદ્યાગૌરી નીલકંઠ સભાપુરમ’ નામ અપાયું:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નામકરણ

ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ ખાતે આયોજિત કાર્યક્રમમાં ગુજરાત યુનિવર્સિટી કન્વોકેશન સેન્ટરનું નામકરણ કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કન્વોકેશન સેન્ટરને ‘વિદ્યાગૌરી નીલકંઠ સભાપુરમ’ નામ અપાયું હતું. આ પ્રસંગે કમલ રિસર્ચ પાર્કનું ઉદ્ઘાટન તેમજ herSTARTની પાંચમી આવૃત્તિનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આજે મહિલા સશક્તિકરણના ઉમંગને ઉજવવા માટે આપણે સૌ એકત્રિત થયા છીએ. હાલનો સમય વુમન ડેવલપમેન્ટ માટેનો સુવર્ણ સમય છે અને દીકરીઓ આજે અંતરિક્ષ સુધી પોતાના કૌશલ્યનો પરચો આપી રહી છે. આજે દેશમાં 2 લાખથી વધુ સ્ટાર્ટઅપ કાર્યરત:મુખ્યમંત્રીમુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે ગુજરાત યુનિવર્સિટીમાં કન્વોકેશન સેન્ટર કાર્યરત બનવાથી વિદ્યાર્થીઓને નવી તકો મળશે. એક સમય એવો હતો જ્યારે રાજ્યમાં 500થી પણ ઓછા સ્ટાર્ટઅપ હતા, જ્યારે આજે દેશમાં 2 લાખથી વધુ સ્ટાર્ટઅપ કાર્યરત છે. હાલના સમયમાં લગભગ 50 ટકા સ્ટાર્ટઅપમાં મહિલાઓની ભાગીદારી છે, જે મહિલા સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. સરકાર દ્વારા ‘herSTART’ નામના પ્લેટફોર્મની શરૂઆત પણ કરવામાં આવી છે, જેના માધ્યમથી મહિલાઓને સ્ટાર્ટઅપ ક્ષેત્રે આગળ વધવાની તકો મળશે. ‘મહિલાઓ પણ સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં આગળ વધશે’સરકારે અત્યાર સુધીમાં 68 કરોડ રૂપિયાથી વધુની સહાય પણ આપી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ભારત ગ્રીન ગ્રોથ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે અને herSTART પ્લેટફોર્મ દ્વારા મહિલાઓ પણ સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં આગળ વધશે. આખા ગુજરાતમાં આ સ્તરનું આ પ્રથમ કન્વેન્શન સેન્ટર: કુલપતિગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે ત્રણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌથી પહેલા રિનોવેટેડ કન્વેન્શન સેન્ટરનું નામકરણ, જે ગુજરાતના પ્રથમ મહિલા ગ્રેજ્યુએટ (1871) વિદ્યાગૌરી નીલકંઠના નામે 'વિદ્યાગૌરી નીલકંઠ સભાપુરમ'. આખા ગુજરાતમાં આ સ્તરનું આ પ્રથમ કન્વેન્શન સેન્ટર છે. બીજું, સરકારી ગ્રાન્ટથી બનેલા રિસર્ચ પાર્કનું આજે ઉદ્ઘાટન અને નામકરણ 'ધ્રુવ કમલ' તરીકે મુખ્યમંત્રીના હસ્તે અને આશીર્વાદથી કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 50 કરોડની ગ્રાન્ટ સાથે ‘HERSTART’ની પાંચમી આવૃત્તિ લોન્ચ અમારો આજનો સૌથી મહત્વનો કાર્યક્રમ હતો, તે ‘HERSTART’ની પાંચમી આવૃત્તિનું લોન્ચિંગ હતું. 2022માં તેની પ્રથમ આવૃત્તિ લોન્ચ થઈ હતી. અત્યાર સુધીમાં લગભગ 50 કરોડની ગ્રાન્ટ સાથે આ પાંચમી આવૃત્તિ લોન્ચ થઈ રહી છે. UNICEF અમારા પાર્ટનર છે અને મોટા મોટા ઇન્વેસ્ટરો પણ આમાં જોડાયેલા છે. સમગ્ર ભારતમાંથી બહેનોની હેકાથોન દ્વારા પસંદગી કરવામાં આવશે. આજે ચોથી આવૃત્તિની 25 થી 27 જેટલી બહેનોને સન્માનિત પણ કરવામાં આવી છે. આજે કન્વેન્શન સેન્ટરનું નામ બદલવામાં આવ્યું છે. 20-25 નામો એવા હતા, જે અમે પ્રધાનમંત્રી કાર્યાલયમાં મોકલ્યા હતા. અમારી એવી ઈચ્છા હતી કે આ નામ નરેન્દ્ર મોદીના નામે હોય, કારણ કે કોઈ યુનિવર્સિટીનો વિદ્યાર્થી પ્રધાનમંત્રી પદે પહોંચે તે ગૌરવની વાત છે. પરંતુ ઘણી વિચારણા બાદ એવું લાગ્યું કે સાહેબના 'Women-led Development' ના સ્વપ્નને સાકાર કરતા વિદ્યાગૌરી નીલકંઠના નામે આ સેન્ટરનું નામ રાખવું વધુ યોગ્ય રહેશે.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 1:56 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં રાજકીય ગણિત બદલાશે:અનામત અને રોટેશનથી અનેક નેતાઓ માટે સીટ બદલવાની ફરજ પડશે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આવનારી ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં ભારે હલચલ જોવા મળી રહી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ટૂંક સમયમાં ચૂંટણીનું સમયપત્રક જાહેર થાય તેવી શક્યતા વચ્ચે પક્ષોએ ગ્રાઉન્ડ લેવલે તૈયારીઓ તેજ કરી દીધી છે. પરંતુ આ વખતે ચૂંટણી માત્ર રાજકીય જંગ પૂરતી સીમિત નહીં રહે, કારણ કે અનામત અને બેઠકોના રોટેશનના નવા નિયમો સમગ્ર રાજકીય સમીકરણો બદલી શકે છે. વર્ષોથી જીતતા ઉમેદવારોને સીટ બદલવી પડશેસ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં OBC અને મહિલાઓ માટે વધારેલા અનામતના અમલથી અનેક બેઠકોની રાજકીય સ્થિતિ બદલાશે. પરિણામે વર્ષોથી એક જ વિસ્તારમાંથી જીતતા કેટલાક સિટિંગ નેતાઓને પોતાની પરંપરાગત સીટ છોડીને નવી જગ્યા શોધવી પડી શકે છે. પક્ષોની અંદર પણ નવા સામાજિક સમીકરણો મુજબ ઉમેદવારો પસંદ કરવાની ચર્ચાઓ તેજ બની છે. નવા વોર્ડોની રચના અને મતવિસ્તારોમાં પણ ફેરફારઆ સાથે જ રાજ્યમાં નવી બનાવાયેલી મહાનગરપાલિકાઓમાં પ્રથમ વખત ચૂંટણી યોજાવાની હોવાથી રાજકીય પક્ષો માટે આ વિસ્તારો ખાસ મહત્વ ધરાવે છે. નવા વોર્ડોની રચના અને મતવિસ્તારોના ફેરફારોને કારણે સ્થાનિક સ્તરે નવી રાજકીય સ્પર્ધા ઊભી થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. નવા મહિલા ચહેરાઓે ચૂંટણી મેદાને દેખાઈ શકેમહિલાઓ માટે અડધી બેઠકો અનામત હોવાથી પક્ષોએ મોટી સંખ્યામાં નવા મહિલા ચહેરાઓને રાજકીય મેદાનમાં ઉતારવાની તૈયારી શરૂ કરી છે. જેના કારણે ઘણા વિસ્તારોમાં જૂના નેતાઓની જગ્યાએ નવા ઉમેદવારોને તક મળવાની શક્યતા વધી રહી છે. ચૂંટણી જાહેર થતા જ રાજ્યભરમાં મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં રાજકીય ગરમાવો વધુ તેજ બનવાની શક્યતા છે. આગામી અઠવાડિયામાં પક્ષોની આંતરિક બેઠકો અને ઉમેદવારીને લઈને રાજકીય હલચલ વધુ ઝડપી બનશે.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 1:48 pm

બરોડા ક્રિકેટ એસો.ની ચૂંટણી સંદર્ભે હવે 16 માર્ચે ચુકાદો:વચગાળાની વ્યવસ્થા યથાવત્, વર્તમાન કમિટી કાર્યકારી કમિટી તરીકે ડે-ટુ-ડેના કામ કરશે

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે થયેલી અરજી ઉપર હાઈકોર્ટ આજે (5 માર્ચ) ચુકાદો આપવાની હતી. જો કે હવે કોર્ટ 16 માર્ચે ચુકાદો જાહેર કરશે. ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા યથાવત્ રહેશે, એટલ કે બરોડા ક્રિકેટ એસોસિએશનની વર્તમાન કમિટી કાર્યકારી કમિટી તરીકે ડે ટુ ડેના કાર્ય કરશે. વર્તમાન કાર્યકારી બોડી કોઈ મહત્વના કે પોલિસી સાથે સંકળાયેલ નિર્ણયો લઈ શકશે નહીં. ચુકાદો જાહેર થાય ત્યાં સુધી બેલેટ પેપર સુરક્ષિત રાખવામાં આવશે. ઉમેદવારોની યોગ્યતા મુદ્દે કોર્ટમાં અરજીમૂળ ગુજરાત હાઇકોર્ટમાં વડોદરાથી અરજદાર પ્રદિપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં BCCI, બરોડા ક્રિકેટ એસોસિએશન, પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલેને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી પ્રમુખ, સેક્રેટરી, ખજાનચી જેવા પદો માટે યોજાઇ હતી, જેમાં પક્ષકારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. જો કે સુપ્રીમ કોર્ટના 2022ના ચુકાદા મુજબ 9 વર્ષ સુધી હોદા પર રહેનાર વ્યક્તિ ચૂંટણી માટે આપોઆપ અયોગ્ય બને છે. વળી હોદ્દા ઉપર સતત બે ટર્મ પછી 3 વર્ષનો કુલિંગ પિરિયડ જરૂરી છે. ચાર ઉમેદવાર સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર અયોગ્યજેથી અરજદારો દ્વારા ચૂંટણી ઓફિસર સમક્ષ સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર પક્ષકાર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલેને અયોગ્ય જાહેર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જો કે, ચૂંટણી ઓફિસર દ્વારા અરજદારે રજૂ કરેલા વાંધા ઉપર કોઈ નિર્ણય લેવાયો નહોતો અને વળી ઉમેદવારોની ફાઈનલ યાદી જાહેર કરાઈ છે. બીજી વખત પણ વાંધો રજૂ કરવા છતાં અરજદારોની વાતને ગણકારવામાં આવી નહોતી. બન્ને પક્ષોની કોર્ટ સમક્ષ દલીલોબરોડા ક્રિકેટ એસોસિયેશન વતી રજૂઆત કરવામાં આવી હતી કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર મેમોરેન્ડમ ઓફ એસોસિએશનને સુધારવામાં આવ્યું છે. ફરિયાદો માટે ઓમ્બ્યુસમેન્ટની રચના છે, જેના ચેરમેન તરીકે કેરાલા હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઈ કાર્યરત છે. જ્યારે અરજદારો પાસે બીજી કાનૂની પ્રક્રિયા ઉપલબ્ધ છે, ત્યારે હાઇકોર્ટમાં સીધી અરજી ટકવા પાત્ર નથી. સામે પક્ષે અરજદારો દ્વારા રજૂઆત કરાઈ હતી કે, BCCI અને BCA સંપૂર્ણપણે ખાનગી વ્યક્તિઓ નથી. ભારતમાં ઓર્ગેનાઇઝ ક્રિકેટ ઉપર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનો સંપૂર્ણ કાબુ છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશોનો ક્રિકેટ બોડી ભંગ કરી શકે નહીં. અરજદારોના વાંધા ઉપર નિર્ણય લીધા વગર ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર કરવી તે લોકશાહીના સિદ્ધાંતોનો ભંગ છે. ‘અયોગ્ય પ્રક્રિયાઓ સામે આવેલી અરજી ઉપર કોર્ટ મૂક પ્રેક્ષક બની શકે નહીં’ગુજરાત હાઇકોર્ટે બંને પક્ષકારોને સાંભળીને પ્રાથમિક દ્રષ્ટિએ નોંધ્યું હતું કે, BCCI અને BCA સંપૂર્ણ પ્રાઇવેટ વ્યક્તિ નથી. બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રતિનિધિ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં પણ હોય છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ભારતમાં ઓર્ગેનાઈઝ ક્રિકેટ ઉપર સંપૂર્ણ પ્રભુત્વ ધરાવે છે. ચૂંટણી પ્રક્રિયામાં સ્ક્રૂટિની એ ફક્ત એક મિકેનિકલ પ્રક્રિયા નથી. અયોગ્ય પ્રક્રિયાઓ સામે આવેલી અરજી ઉપર કોર્ટ મૂક પ્રેક્ષક બની શકે નહીં. સુપ્રીમ કોર્ટના નિર્દેશો ચૂંટણી અધિકારી અવગણ્યા છે. આ કેસને મેરીટ ઉપર નક્કી કરવો જરૂરી છે. જો કે ચૂંટણી પ્રક્રિયા જાહેર થયા બાદ તેની ઉપર અત્યારે સ્ટે આપી શકાય તેમ નથી. જો અરજીને નકારી દેવામાં આવે તો તેનો હેતુ માર્યો જાય તેમ છે. હાઇકોર્ટની પૂર્વ મંજૂરી વગર પરિણામ જાહેર નહિ કરી શકાઈઆથી હાઇકોર્ટે મૌખિક હુકમ કર્યો હતો કે, 15 ફેબ્રુઆરીના રોજ યોજનારી બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સમય અનુસાર જ યોજાશે. તેમાં અરજીમાં સામેલ પક્ષકારો ભાગ પણ લઈ શકશે, પરંતુ હાઇકોર્ટની પૂર્વ મંજૂરી વગર પરિણામ જાહેર કરી શકાશે નહીં. બેલેટ પેપરને સુરક્ષિત રીતે રાખવાના રહેશે.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 1:44 pm

મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ફરી ધમકી:કોર્ટનું કામ રાબેતા મુજબ યથાવત,પોલીસ અને ડોગ સ્ક્વોડે સર્ચ ઓપરેશન કર્યું

મહેસાણાની ડિસ્ટ્રિક્ટ કોર્ટને ફરી એકવાર નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કોર્ટના સત્તાવાર ઈ-મેલ આઈડી પર કોર્ટ પરિસરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. ધમકીભર્યા ઈમેલની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક પોલીસનો મોટો કાફલો કોર્ટ પરિસરમાં ઉતારી દેવામાં આવ્યો હતો.જોકે કોર્ટની કામગીરી રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી હતી.આ પહેલાં 17 ફેબ્રુઆરીએ પણ ધમકી મળી હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સુરક્ષાના ભાગરૂપે ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમને પણ બોલાવવામાં આવી હતી. જેમણે કોર્ટના ખૂણેખૂણામાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આશ્ચર્યની વાત એ છે કે એકતરફ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી હતી ત્યારે બીજી તરફ કોર્ટની ન્યાયિક કામગીરી અટકાવવામાં આવી નહોતી. કોર્ટની કાર્યવાહી રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી હતી અને તે દરમિયાન જ સુરક્ષા એજન્સીઓએ પોતાનું સર્ચ ઓપરેશન પૂર્ણ કર્યું હતું. આઈપી એડ્રેસ અને મોકલનાર શખ્સ સુધી પહોંચવા માટે સાયબર ક્રાઇમની મદદ લેવાઈઅત્રે ઉલ્લેખનીય છે કે મહેસાણા કોર્ટને આ પ્રકારે ધમકી મળી હોય તેવી આ પહેલી ઘટના નથી. અગાઉ ગત 17 ફેબ્રુઆરીના રોજ પણ આ જ પ્રકારે ઈમેલ દ્વારા કોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. વારંવાર મળી રહેલી આ ધમકીઓને પગલે પોલીસ હવે ઈ-મેલના આઈપી એડ્રેસ અને મોકલનાર શખ્સ સુધી પહોંચવા માટે સાયબર ક્રાઈમની મદદ લઈ રહી છે. હાલમાં આ મામલે સઘન તપાસ તેજ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 1:41 pm

ચૂંટણી વર્ષમાં સ્ટે.કમિટીની અંતિમ બેઠકમાં વિકાસ કામોની લ્હાણી:60 કરોડના કામો એજન્ડા ઉપર મુકાયા, સૌથી વધુ વરસાદી ગટર અને રોડના કામોને ફાળવણી

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટાયેલી પાંખ માટે 9 માર્ચ અંતિમ દિવસ છે. વર્તમાન બોર્ડના પાંચ વર્ષ પૂર્ણ થતા હવે પાલિકામાં વહીવટદારનું શાસન આવશે. ત્યારે બોર્ડ પૂર્ણ થાય તે પહેલાની અંતિમ સ્ટેન્ડિગ કમિટીની બેઠકમાં એક સાથે વિકાસના 55 કામો એજન્ડા ઉપર મુકવામાં આવ્યા છે. આ બેઠકમાં આગામી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાને લઈ વિકાસ કામોની લ્હાણી કરાવવામાં આવી છે. 60 કરોડના વિકાસ કામોને મંજૂરી અપાશેમહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આગામી શુક્રવારના રોજ મળશે. આ બેઠક વર્તમાન બોર્ડની સ્ટેન્ડિગ કમિટીની અંતિમ બેઠક છે. જેથી એક સાથે 55 જેટલા કામો એજન્ડા ઉપર મુકવામાં આવ્યા છે. વિવિધ વિભાગના કામો ઝડપથી શરુ થાય તે માટે 60 કરોડના વિકાસ કામો એજન્ડા ઉપર મુકવામાં આવ્યા છે. સ્થાયી સમિતિની બેઠક પહેલા ભાજપ કાર્યાલય ખાતે સંકલનની બેઠક મળશે. સૌથી વધુ નાણાંની ફાળવણી ફ્યુચરિસ્ટિક સેલ અને વરસાદી ગટરના કામોમાંસ્થાયી સમિતિના એજન્ડા ઉપર સૌથી વધુ નાણાંની ફાળવણી વરસાદી ગટરના કામો માટે કરવામાં આવી છે. વરસાદી ગટરના કામોમાં કુલ 9.43 કરોડના કામો મંજુર કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ ઝોનમાં પણ વિકાસના કામો માટે ફાળવણી કરવામાં આવી છે જેમાં રોડ રસ્તા, સ્ટ્રીટલાઇટ, બ્રિજ સહિતના કામોને આવરી લેવામાં આવ્યા છે. મહાનગરપાલિકાના બજેટમાં મંજુર કરવામાં આવેલા કામો પૈકી મોટા ભાગના કામો આ એજન્ડા ઉપર લઇ લેવામાં આવ્યા છે. એક જ મહિનામાં 150 કરોડના કામો લેવાયાસ્થાયી સમિતિની બે બેઠક અગાઉ પણ એક જ દિવસમાં 79 કરોડના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી. વર્તમાન બોર્ડ દ્વારા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિકાસ કાર્યોને વેગ આપવામાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. માત્ર એક જ મહિનામાં અંદાજે 150 કરોડની આસપાસના કામોને મંજૂરી આપવામાં આવશે. કયા વિભાગમાં કેટલાના કામો ?

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 1:39 pm

PSI બનવાનું સપનું અધૂરું રહ્યું, વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

Vadodara Police News : વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી છે. શહેરના કપુરાઇ પોલીસ મથકમાં ફરજ બજાવતા 27 વર્ષીય મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આઘાતજનક વાત એ છે કે, પ્રિયંકાએ તાજેતરમાં જ પીએસઆઈ (PSI) માટેની શારીરિક કસોટી એટલે કે દોડની પરીક્ષા પાસ કરી હતી અને તેઓ ઉચ્ચ અધિકારી બનવાની દિશામાં આગળ વધી રહ્યા હતા. પીએસઆઈની લેખિત પરીક્ષાની તૈયારીમાં હતા મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની પ્રિયંકા પ્રજાપતિ વડોદરામાં આજવા રોડ પર નવજીવન પાસે રહીને પોતાની ફરજ બજાવતા હતા.

ગુજરાત સમાચાર 5 Mar 2026 1:37 pm

સુરેન્દ્રનગરમાં 668 લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ સહાય અપાઈ:નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના હસ્તે હુકમોનું વિતરણ

સુરેન્દ્રનગરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય હુકમ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વઢવાણ અને સુરેન્દ્રનગર વિસ્તારના કુલ 668 લાભાર્થીઓને 'ગંગા સ્વરૂપા આર્થિક સહાય', 'નિરાધાર વૃદ્ધ' અને 'દિવ્યાંગ સહાય યોજના' હેઠળ મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સંબોધતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગરના ઇતિહાસમાં આ કદાચ પ્રથમ પ્રસંગ છે, જ્યાં એક જ શહેરના 668 જેટલા લાભાર્થીઓને શોધી, તેમના ફોર્મ ભરાવીને એક જ સ્થળેથી સહાયના હુકમો આપવામાં આવ્યા હોય. તેમણે આ પ્રક્રિયાને માત્ર સરકારી કાર્યક્રમ નહીં, પણ સંવેદનશીલતાનો યજ્ઞ ગણાવ્યો હતો. લાભાર્થીઓની આંકડાકીય વિગતો આપતાં મકવાણાએ ઉમેર્યું હતું કે, આજે 197 ગંગા સ્વરૂપા બહેનોને સહાય, 16 લાભાર્થીઓને રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના હેઠળ રૂ. 20,000ના ચેક અને 445 નિરાધાર વૃદ્ધો તથા દિવ્યાંગોને માસિક રૂ. 1,000ની સહાય મંજૂર કરવામાં આવી છે.તેમણે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન સરકાર હંમેશા છેવાડાના માનવીની પડખે રહી છે. પહેલાં ગંભીર બીમારીના સમયે ઘરના દાગીના કે જમીન ગિરવે મૂકવી પડતી હતી, પરંતુ હવે આયુષ્માન કાર્ડ દ્વારા રૂ. 10 લાખ સુધીની મફત સારવાર નિશ્ચિત કરવામાં આવી છે. આ ઉપરાંત, કોરોના કાળથી શરૂ થયેલી મફત અનાજની યોજના આગામી પાંચ વર્ષ સુધી ચાલુ રહેશે અને જે બહેનો પાસે NFSA કાર્ડ નથી, તેમને પણ વહીવટી તંત્ર દ્વારા કાર્ડ કઢાવી આપવાની ખાતરી આપવામાં આવી છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન અમરતભાઈ ડાભી, તાલુકા પંચાયત ચેરમેન અંબારામભાઈ, અગ્રણીઓ હાર્દિકભાઈ ટમાલીયા, જીજ્ઞાબેન પંડ્યા, દેવાંગભાઈ રાવલ તેમજ પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ અને મામલતદાર આર.કે. પંચાલ સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 1:31 pm

પાટણ જૂનાગંજ બજારમાં પ્રતિબંધિત સમયે ભારે વાહનોનો પ્રવેશ:વેપારીઓની દુકાનો બહાર માલસામાન ઉતારવા અને ભરવા માટે વાહનો ખડકી દેવાતાં ટ્રાફિક જામ

પાટણના જૂનાગંજ બજારમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં, આજે પ્રતિબંધિત સમયે વાહનો જોવા મળ્યા હતા. સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે, તેમ છતાં નંદાપરાની ખડકી પાસે હોલસેલ વેપારીઓની દુકાનો બહાર માલસામાન ઉતારવા અને ભરવા માટે વાહનો ખડકી દેવાયા હતા. આના કારણે મુખ્ય માર્ગ સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો હતો. રાહદારીઓ અને અન્ય વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયા હતા, જેનાથી ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પોલીસ તંત્ર અને વેપારીઓ વચ્ચે ટ્રાફિક સમસ્યા હલ કરવા એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બજારમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધી ભારે વાહનોના પ્રવેશ પર કડક પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો હતો. પોલીસ સાથેની બેઠક બાદ પણ વેપારીઓ દ્વારા નિયમોનું ઉલ્લંઘન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો અને ગ્રાહકોની માંગ છે કે, પોલીસ માત્ર બેઠકો કરવાને બદલે તેમને નિયમ તોડનારા વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરે અને કડક પગલાં ભરે.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 1:20 pm

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલનો આપઘાત:ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાધો, મૂળ બનાસકાંઠાની પ્રિયંકા પ્રજાપતિએ PSIની પરીક્ષા પાસ કરી હતી

વડોદરામાં કપુરાઇ પોલીસ મથકમાં ફરજ બજાવતા 27 વર્ષીય મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિએ પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો છે. આજવા રોડ નવજીવન પાસે રહેતી પ્રિયંકાએ તાજેતરમાં જ PSIની પરીક્ષા પાસ કરી હતી. મૂળ બનાસકાંઠા જિલ્લાની વતની પ્રિયંકાના આપઘાતનું કારણ અકબંધ છે. બાપોદ પોલીસ મથક વિસ્તારમાં બનેલી ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. મહિલા કોન્સ્ટેબલે PSIની દોડની પરીક્ષા પાસ કરી હતી અને લેખિત પરીક્ષા માટે તૈયારી કરતા હતા. સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર પોલીસ કર્મીઓએ મૃતકને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 1:09 pm

બે બાઇક વચ્ચે ભયાનક અકસ્માત, CCTV:સુરતમાં સામેથી શાંતિથી આવતા બાઇક સામે પૂરપાટ ઝડપે બાઇક અથડાવ્યું, સારવાર દરમિયાન નિર્દોષ યુવકનું મૃત્યુ

સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં ‘દુખીયાના દરબાર’ રોડ પર એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. બે મોટરસાયકલ વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ CCTVમાં જોવા મળે છે કે, લાલ શર્ટમાં આવતો બાઇક સામેથી ડાબી સાઇડ તરફ જ શાંતિથી જઈ રહેલા બાઇક ચાલક સાથે બાઇક અથડાવી દે છે. જો કે આ અકસ્માતમાં સાઇડમાં આવી રહેલા નિર્દોષ બાઇક ચાલકનું મોત થઈ ગયું હતું. શ્યામ વિલા સોસાયટીના ગેટ નજીક આ અકસ્માત થયોઆ અંગે મળતી માહિતી મુજબ, 4 માર્ચ, 2026ના રોજ સાંજના 6 વાગ્યાના સુમારે બંગાળ કોલોની પાસે, આવેશ શ્યામ વિલા સોસાયટીના ગેટ નજીક આ અકસ્માત થયો હતો. પોલીસ ફરિયાદ અનુસાર, લાલ રંગનો શર્ટ પહેરેલા રામપ્રસાદ પુરણભાઈ રાજપૂત નામના બાઈક ચાલકે (GJ-05-DK-8099) પોતાની મોટરસાયકલ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ફરિયાદી(બાઇક પાછળ બેઠેલા લાલજી પોકીયા)ની બાઈક (GJ-05-PH-0508)ને જોરદાર ટક્કર મારી હતી. એક બાઇક ચાલક ફંગોળાયો અને એક બેભાન થઈ ગયો હતોઅકસ્માતની આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. ફૂટેજમાં જોઈ શકાય છે કે ટક્કર એટલી પ્રચંડ હતી કે એક બાઈક ચાલક હવામાં ફંગોળાયો હતો, જ્યારે બીજો ચાલક બાઈક પર જ બેભાન થઈ ગયો હતો. ઘટના બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયોઆ મામલે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 106(૧), 125(એ), 125(બી) તથા એમ.વી. એક્ટની કલમ 177, 184 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 1:07 pm

બહેને રડતા-રડતા હાથ જોડી કહ્યું- મારા ભાઈને ન્યાય આપો:રાજકોટમાં નેપાળી યુવકની પત્થરના ઘા ઝીંકી હત્યા, પોલીસે શકમંદને ઉઠાવ્યો

રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના કેકેવી ચોક નજીક ઓવરબ્રિજ નીચે ગઇકાલે(4 માર્ચ) રાત્રે એક નેપાળી યુવાનની પત્થરના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. આ ઘટનામાં માલવિયાનગર પોલીસ સ્ટાફે એક શકમંદને ઉઠાવી લઇ પૂછપરછ શરૂ કરી છે. તેમજ હત્યાનું સાચું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. યુવાન પુત્રના મોતથી પરિવારમાં કલ્પાંત છવાઈ ગયો છે અને નાની બહેને રડતા રડતા હાથ જોડી કહ્યું છે કે મારા ભાઈને ન્યાય આપો. લોહીથી લથબથ હાલતમાં યુવાનની લાશ મળીગઇકાલે મોડી રાત્રે 2:30 વાગ્યાની આસપાસ એક યુવાનની લોહીથી લથબથ હાલતમાં કેકેવી ચોક ઓવરબ્રિજ નીચેથી લાશ મળી આવી હતી. આ ઘટનામાં માલવીયા નગર પોલીસ સ્ટેશનના પીઆઇ જીગ્નેશ દેસાઈ અને સ્ટાફે તુરંત ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન મૃતક યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોક પાસે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતો રાહુલ પ્રેમસિંગ વિશ્વકર્મા (ઉ.વ.33) હોવાનું સામે આવ્યું હતું. મૃતક હોટલમાં વેઇટર હતોપોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન હોટલમાં વેઈટર તરીકે કામ કરતો હતો અને પોતે કામ પર જવાનું કહી ઘરેથી રાત્રે 10:30 વાગ્યે નીકળ્યો હતો. તેના છુટાછેડા થઈ ગયા હતા અને હાલ તેની દીકરી માતા સાથે રહે છે. રાહુલ બે ભાઈ અને એક બહેનમાં મોટો હતો. તેના માતાનું નામ સરસ્વતીબેન છે. પથ્થરના ઘા ઝીંકી હત્યા કરાઈહાલ બનાવ અંગે માલવીયાનગર પોલીસ સ્ટેશનના પીઆઇ જે.આર.દેસાઈ અને રાઇટર મહેશભાઈ સહિતના સ્ટાફે તપાસ કરતા રાહુલને કોઈએ પત્થરના ઘા ઝીંકી હત્યા નિપજાવું હોવાનું સામે આવતા CCTV ફૂટેજના આધારે એક શકમંદને ઉઠાવી લઇ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આરોપીને કડકમાં કડક સજા કરો: મૃતકની બહેનબનાવ અંગે મૃતક યુવકની બહેન રિંકલ ગોહેલએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મારો ભાઈ બે દિવસથી ઘરે આવ્યો ન હતો અમને એવું હતું એ ફરવા ગયો હશે. અચાનક સવારે પોલીસે ઘરે આવી ભાઈની હત્યા થયાની જાણ કરતા મને મારા મમ્મીનો ફોન આવ્યો અને અમે હોસ્પિટલ દોડી આવ્યા હતા. બહેને રડતા રડતા હાથ જોડી મારા ભાઈને ન્યાય આપો તેવી માગ કરી હતી.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 1:02 pm

ખોટી વાતની શંકાએ યુવાન પર હુમલો:જામનગરના રામેશ્વરનગરમાં તલવાર-પાઈપથી પાંચ શખ્સોએ માર માર્યો

જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં 'તું અમારી વાતો કરે છે' તેવી શંકા રાખી પાંચ શખ્સોએ એક યુવાન પર તલવાર અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવાનને ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના 4 માર્ચ, 2025ના રોજ બપોરે આશરે 2:30 વાગ્યે રામેશ્વરનગર વિસ્તારમાં માટેલ પાન પાસે બની હતી. ફરિયાદી મોસીનભાઈ રહીમભાઈ ઠેબા (ઉં.32), જે મજૂરી કામ કરે છે અને કૃષ્ણા પાર્ક શેરી નં.3માં રહે છે, તેઓ માટેલ પાન પાસે મસાલો ખાવા ઊભા હતા. આ દરમિયાન આરોપી ઇન્દ્રજીતસિંહ જયેન્દ્રસિંહ અને મિતરાજસિંહ જયેન્દ્રસિંહ પોતાની એક્સેસ મોટરસાયકલ પર ત્યાં આવ્યા હતા. તેઓએ મોસીનભાઈ પર આરોપ મૂક્યો કે 'તું અમારી વાતો કરે છે, તને આ વિસ્તારમાં રહેવું નથી લાગતું.' મોસીનભાઈએ શાંતિથી જવાબ આપ્યો કે તેમણે કોઈની વાત કરી નથી અને કદાચ કોઈએ ખોટી માહિતી આપી છે. પરંતુ આરોપીઓ ઉશ્કેરાઈ ગયા અને ગાળો આપવા લાગ્યા. મોસીનભાઈએ ગાળો બોલવાનું અટકાવતાં જ આરોપી નં.1 મોટરસાયકલમાંથી બે તલવાર કાઢી લાવ્યો. એક તલવાર પોતે રાખી અને બીજી આરોપી નં.2ને આપી. બાદમાં બંનેએ મોસીનભાઈ પર હુમલો કર્યો. મોસીનભાઈએ પોતાને બચાવવા હાથ આગળ રાખતાં ડાબા હાથના કોણી અને નીચેના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી અને લોહી વહેવા લાગ્યું. હુમલા પછી બંને આરોપીઓ ત્યાંથી ભાગી ગયા, પરંતુ થોડા સમય બાદ જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા, રાજ અને વિરુ ત્યાં પહોંચ્યા. આરોપી નં.3 પાસે લોખંડનો પાઇપ હતો અને તેણે મોસીનભાઈના ડાબા હાથના કોણીના ભાગે માર માર્યો. સાથે જ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી અને બાકીના આરોપીઓએ ઢીકાપાટુનો માર માર્યો. આ હુમલામાં મોસીનભાઈના હાથમાં ફ્રેક્ચર તથા ટાંકા લેવાની ઇજાઓ પહોંચી છે. આ બનાવ અંગે બી.એન.એસ. 2023ની કલમ 117(2), 118(1), 115(2), 352, 351(3), 54 તેમજ જી.પી. એક્ટ કલમ 135(1) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કેસની તપાસ સીટી 'બી' ડીવી પોલીસ સ્ટેશનના પો.સબ ઈન્સ્પેક્ટર એસ.જી. કેશવાલા કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 12:50 pm

બોટાદ APMCમા જીરુંની મબલખ આવક, યાર્ડ જીરુ થી ઉભરાયુ.:15 હજાર મણ જીરું પહોંચ્યું, ભાવ રૂ. 3500-4500 મળતા ખેડૂતો સંતુષ્ટ

બોટાદ માર્કેટિંગ યાર્ડ (APMC) જીરુંની મબલખ આવકથી ઉભરાઈ રહ્યું છે. હાલમાં જીરુંના પ્રતિ મણ રૂ. 3500 થી 4500 સુધીના સારા ભાવ મળતા ખેડૂતોમાં સંતોષ જોવા મળી રહ્યો છે. યાર્ડમાં જ્યાં નજર કરો ત્યાં જીરુંના ઢગલા જોવા મળી રહ્યા છે. સિઝનની શરૂઆતથી અત્યાર સુધીમાં બોટાદ APMCમાં અંદાજે 15 હજાર મણથી વધુ જીરુંની આવક થઈ ચૂકી છે. સારા ભાવ મળવાને કારણે મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનું જીરું વેચવા માટે યાર્ડમાં પહોંચી રહ્યા છે, જેના પરિણામે આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વર્ષે બોટાદ જિલ્લામાં અંદાજે 6989 હેક્ટર જમીનમાં જીરુંનું વાવેતર થયું છે. બોટાદ APMCમાં માત્ર બોટાદ જિલ્લાના જ નહીં, પરંતુ આસપાસના અન્ય ત્રણ જિલ્લાઓના ખેડૂતો પણ પોતાનો પાક વેચવા માટે આવે છે. બોટાદ APMCના ચેરમેન મનહરભાઈ માતરીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં જીરુંની આવકમાં વધુ વધારો થવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 12:40 pm

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધથી મોરબીમાં પ્રોપેન ગેસ સપ્લાય બંધ:48 કલાકમાં સિરામિક કારખાનાઓને તાળા વાગી જશે, લોનના હપ્તા ભરવામાં ફાંફા, લાખો લોકોની રોજગારી પર સંકટ

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની આગ મોરબી સુધી પહોંચી ગઇ છે. મોરબીના સિરામિક ઉદ્યોગમાં પ્રોપેન ગેસનો પુરવઠો આજથી સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેના કારણે આગામી 24થી 48 કલાકમાં મોટાભાગના કારખાના બંધ થઈ જશે. જેના કારણે લાખો લોકોની રોજગારી પર સંકટ ઉભુ થયું છે. કંડલા પોર્ટ પરથી ટેન્કર ભરવાનું બંધ થઈ ગયુંમોરબીમાં આશરે 600 જેટલા સિરામિક એકમો કાર્યરત છે. આ તમામ એકમોમાં ઈંધણ તરીકે પ્રોપેન ગેસ અને નેચરલ ગેસનો ઉપયોગ થાય છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે પ્રોપેન ગેસ સપ્લાય કરતી એજન્સીઓએ બે દિવસ પહેલા ઓર્ડર લેવાનું બંધ કરી દીધું હતું અને આજથી કંડલા પોર્ટ પરથી પ્રોપેન ગેસના ટેન્કર ભરવાનું પણ બંધ થઈ ગયું છે. કારખાના ફરજિયાતપણે બંધ કરવા પડશેમોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખ હરેશ બોપલિયાએ વિગતો આપતા જણાવ્યું કે, કારખાનેદારો પાસે હાલમાં 24થી 48 કલાક ચાલે એટલો પ્રોપેન ગેસનો જથ્થો ઉપલબ્ધ છે. આ જથ્થો પૂરો થયા બાદ પ્રોપેન ગેસના અભાવે મોટાભાગના કારખાનાઓને ફરજિયાતપણે બંધ કરવા પડશે. લાખો લોકોની રોજગારી પર પ્રશ્નાર્થ ઊભો થશેહરેશ બોપલિયા મતે, મોરબીનો સિરામિક ઉદ્યોગ આશરે 3 લાખ જેટલા શ્રમિકોને રોજગારી પૂરી પાડે છે. આ કારખાના બંધ થવાથી લાખો લોકોની રોજગારી પર પ્રશ્નાર્થ ઊભો થશે. આ ઉપરાંત, કારખાનેદારોને પણ મોટા આર્થિક સંકટનો સામનો કરવો પડશે. લોકોને લોનના હપ્તા ભરવાના ફાંફા પડી શકે છે. મોરબીની અર્થવ્યવસ્થા પર નકારાત્મક અસર થશેમોરબીના સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય નાના-મોટા ઉદ્યોગોને પણ પોતાનું ઉત્પાદન અને યુનિટ બંધ કરવાની ફરજ પડશે. જો આ પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો મોરબીની અર્થવ્યવસ્થા પર ગંભીર નકારાત્મક અસર થશે. ગેસનો પૂરતો સ્ટોક હોવાનું જીએસપીસીનું આશ્વાસન‎પ્રોપેન ગેસ તેમજ નેચરલ ગેસની શોર્ટેજની સ્થિતિ વચ્ચે મંગળવારે મોરબી સિરામિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના હોદ્દેદારો અને ઉપયોગકારો મોટી સંખ્યામાં ગુજરાત ગેસ કોર્પોરેશન જીએસપીસીની કચેરીએ દોડી ગયા હતા અને તેમની પાસે પણ ગેસની ખેતી અંગે માહિતી મેળવવા પ્રયાસ કર્યો હતો. જે બાદ ગુજરાત દેશના અધિકારીઓ દ્વારા તેમની સાથે બેઠક કરવામાં આવી હતી. ગેસ ઉપલબ્ધ થશે કે કેમ તે આવનારો સમય જ કહેશેગુજરાત ગેસ પાસે હાલ કેટલો જથ્થો છે તે અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. માત્ર ઉદ્યોગકારોને હાલ પૂરતા સ્ટોક હોવાનું કહી આશ્વાસન આપવામાં આવ્યું હતું. ત્યારે, મોરબીના આ ઉદ્યોગો પર આગામી દિવસમાં ગેસ અછતની નવી મુસીબત તોળાઈ રહી છે. ત્યારે, ઉદ્યોગોને ખરેખર ગેસ ઉપલબ્ધ થશે કે કેમ તે આવનારો સમય જ કહેશે. આ પણ વાંચો: કારખાનેદારોને કરોડોનું નુકસાન, લાખો શ્રમિકોની રોજગારી સંકટમાં આ પણ વાંચો, સિરામિક ઉદ્યોગને મહિને ₹50 લાખથી ₹1 કરોડનું નુકસાન, કારખાના બંધ થવાની શક્યતા આ પણ વાંચો, સિરામિક ઉદ્યોગ માટે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ, સિરામિક ઉદ્યોગ પાસે એક સપ્તાહ પૂરતો જથ્થો બચ્યો

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 12:39 pm

ભરૂચ રેલ્વે પોલીસે વડીલોના આશ્રમમાં જમણવાર યોજ્યો:હોળી-ધૂળેટી પર્વ નિમિત્તે સેવાભાવનાનું ઉદાહરણ પૂરું પાડ્યું

ભરૂચ રેલ્વે પોલીસે હોળી-ધૂળેટી પર્વ નિમિત્તે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. રેલ્વે પોલીસના જવાનોએ શહેરના ક્સક વિસ્તારમાં આવેલા વડીલોના ઘરમાં રહેતા વૃદ્ધો માટે વિશેષ જમણવારનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે રેલ્વે પોલીસના અધિકારીઓ અને જવાનોએ આશ્રમમાં રહેલા વૃદ્ધો સાથે સમય વિતાવ્યો હતો. તેમણે પ્રેમપૂર્વક ભોજન પીરસીને તહેવારના અવસરે વૃદ્ધોને પરિવાર જેવી લાગણી આપવાનો પ્રયાસ કર્યો હતો. વડીલોએ રેલ્વે પોલીસની આ સેવાભાવી પહેલ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તહેવારના દિવસે વૃદ્ધોના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું હતું. આ પ્રકારની પ્રવૃત્તિઓ સમાજમાં માનવતા અને સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 12:34 pm

બોટાદજિલ્લામાં 68 ગ્રામ પંચાયત મકાનો બનશે:₹6.14 કરોડના ખર્ચે તલાટી-મંત્રી ઓફિસ સાથે બિલ્ડિંગ નિર્માણ

બોટાદ જિલ્લામાં 68 ગ્રામ પંચાયતોના નવા મકાનો ₹6,14,82,876 ના ખર્ચે બનાવવામાં આવશે. આ મકાનોમાં તલાટી-કમ-મંત્રીની ઓફિસ પણ સામેલ હશે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાની રજૂઆત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન પ્રશ્ન નંબર 15 હેઠળ બોટાદ જિલ્લામાં ગ્રામ પંચાયત મકાનોની સ્થિતિ અંગે પ્રશ્નો પૂછ્યા હતા. તેમણે 31-12-2025 ની સ્થિતિએ તાલુકાવાર જર્જરિત ગ્રામ પંચાયત મકાનોની સંખ્યા, છેલ્લા બે વર્ષમાં મંજૂર થયેલા નવા મકાનો અને તેના પર થયેલા ખર્ચ અંગે માહિતી માંગી હતી. આ પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે 31-12-2025 ની સ્થિતિએ બોટાદ તાલુકામાં 0, ગઢડા તાલુકામાં 5, બરવાળા તાલુકામાં 0 અને રાણપુર તાલુકામાં 0 ગ્રામ પંચાયત મકાનો જર્જરિત છે. વધુમાં, છેલ્લા બે વર્ષમાં કુલ 68 ગ્રામ પંચાયતોના નવા મકાનો મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં બોટાદ તાલુકામાં 17, ગઢડા તાલુકામાં 35, બરવાળા તાલુકામાં 4 અને રાણપુર તાલુકામાં 12 નવા ગ્રામ પંચાયત મકાનોનો સમાવેશ થાય છે. બોટાદ જિલ્લામાં આ 68 ગ્રામ પંચાયતોના તલાટી-કમ-મંત્રીની ઓફિસ સાથેના બિલ્ડિંગ્સ કુલ ₹6,14,82,876 ના ખર્ચે બનશે. આ માહિતી બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 12:29 pm

મુખ્યમંત્રીએ કરાવી સરદાર એકતા યાત્રાની શરૂઆત:અમદાવાદથી મધ્યપ્રદેશ સુધી ગુંજશે જય સરદારનો નારો, 'નેશન ફર્સ્ટ'નો આપ્યો મંત્ર

અખિલ ભારતીય કુર્મી પાટીદાર મહાસભા દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી 'સરદાર એકતા યાત્રા'નો અમદાવાદથી મંગલ પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યાત્રાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર વાતાવરણ 'જય સરદાર, સબકે સરદાર!'ના નારાથી ગુંજી ઊઠ્યું હતું. આ યાત્રા માત્ર એક પ્રવાસ નથી, પરંતુ સરદાર સાહેબના અટલ રાષ્ટ્રપ્રેમ અને અખંડિતતાના વિચારોને જન-જન સુધી પહોંચાડવાનું એક મહા-અભિયાન છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા સરદાર સાહેબનું સન્માન જાળવ્યું છે. વર્ષ 2014થી સરદાર સાહેબની જન્મજયંતીને સમગ્ર દેશમાં 'રાષ્ટ્રીય એકતા દિવસ' તરીકે ઉજવવાની જે પરંપરા તેમણે શરૂ કરાવી છે, તેણે દેશવાસીઓમાં એકતાની નવી ચેતના જગાવી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું નિર્માણ કરીને નરેન્દ્ર મોદીએ લોહપુરુષને સાચી અને શ્રેષ્ઠ અંજલિ આપી છે. આજે આ વિરાટ પ્રતિમા સમગ્ર વિશ્વમાં ભારતની અખંડિતતાના પ્રતીક તરીકે ઊભી છે. આ વર્ષ સરદાર સાહેબની 150મી જન્મજયંતીનું વર્ષ છે, જે વડાપ્રધાનની પ્રેરણાથી દેશભરમાં ઉત્સાહભેર ઉજવવામાં આવી રહ્યું છે. ભૂપેન્દ્ર પટેલે યાદ અપાવ્યું હતું કે, આઝાદ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે વલ્લભભાઈ પટેલે અશક્ય જણાતા કાર્યને શક્ય કરી બતાવ્યું હતું. તેમણે 565 દેશી રજવાડાંઓને એક તાંતણે બાંધીને અખંડ ભારતનું સ્વરૂપ આપ્યું હતું. આજે વડાપ્રધાન પણ એ જ મૂલ્યો સાથે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના સંકલ્પને સાકાર કરવા પ્રયત્નશીલ છે. રાષ્ટ્રહિત સર્વોપરીનો મંત્રમુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, સરદાર સાહેબના જીવનનો મુખ્ય મંત્ર 'નેશન ફર્સ્ટ' એટલે કે રાષ્ટ્ર પ્રથમ હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પ પણ એ જ છે કે દરેક ભારતીયના મનમાં દેશપ્રેમની ભાવના ઉજાગર થાય. આ એકતા યાત્રા યુવા પેઢીમાં સરદાર સાહેબનું સમર્પણ અને દેશ પ્રત્યેની નિષ્ઠા જીવંત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવશે. યાત્રામાં સરદાર સાહેબની સ્મૃતિઓના દર્શનઆ યાત્રા ગુજરાત અને મધ્યપ્રદેશના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરશે. આ યાત્રાની ખાસિયત એ છે કે તેમાં સરદાર સાહેબના જીવન સાથે જોડાયેલી અત્યંત કિંમતી અને અમૂલ્ય ચીજવસ્તુઓ લોકોના દર્શન માટે રાખવામાં આવી છે. મુખ્યમંત્રીએ આ સરાહનીય આયોજન બદલ આયોજકોને અભિનંદન આપતા કહ્યું કે, આ વસ્તુઓના દર્શનથી લોકો લોહપુરુષના સંઘર્ષમય અને પ્રેરણાદાયી જીવનને નજીકથી અનુભવી શકશે. સ્વદેશી અપનાવો, વિકસિત ભારત બનાવોભૂપેન્દ્ર પટેલે દેશની એકતાને વધુ મજબૂત કરવા માટે જનતાને 'સ્વદેશી'નો મંત્ર અપનાવવા આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવો એ આજના સમયની માંગ છે. જ્યારે આપણે સૌ એક થઈને આત્મનિર્ભર ભારત માટે પ્રયત્ન કરીશું અને વિકસિત ભારતનો સંકલ્પ પૂર્ણ કરીશું, ત્યારે જ તે સરદાર સાહેબને સાચી ભાવાંજલિ ગણાશે. અગ્રણીઓની પ્રેરણાદાયી ઉપસ્થિતિઆ કાર્યક્રમમાં કે.પી. વિદ્યાર્થી ભવનના વડા અને યાત્રાના આયોજક સતીષભાઈ પટેલે મહેમાનોનું સ્વાગત કર્યું હતું. પૂર્વ મંત્રી ગોરધનભાઈ ઝડફિયાએ આ રાષ્ટ્રવ્યાપી યાત્રાના હેતુ અને તેના આયોજનની રૂપરેખા વિશે વિગતવાર માહિતી આપી હતી. આ પ્રસંગે સરદાર ધામના પ્રમુખ ગગજીભાઈ સુતરિયા, અખિલ ભારતીય કુર્મી પાટીદાર મહાસભાના હોદ્દેદારો, સરદાર રાષ્ટ્રીય સ્મારકના માનદ મંત્રી આર.એસ. પટેલ તેમજ મોટી સંખ્યામાં સરદાર-પ્રેમીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 12:17 pm

અમદાવાદમાં ‘શી ટીમ’ની ગાડીનો ડ્રાઇવર પીધેલી હાલતમાં ઝડપાયો:નશામાં ગાડી ડિવાઈડર પર ચઢાવી દીધી, લોકોના ટોળાએ ભેગા થઈ તપાસ કરતાં ગાડીમાંથી દારૂનું ક્વાર્ટર મળ્યું

અમદાવાદ શહેરમાં મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત પોલીસની 'શી ટીમ' વિવાદમાં આવી છે. નિકોલ પોલીસ સ્ટેશનની શી ટીમની ગાડીના આઉટસોર્સ ડ્રાઇવરે નશાની હાલતમાં સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી ડિવાઈડર પર ચઢાવી દીધી હતી. અકસ્માત બાદ ભેગા થયેલા લોકોએ જ્યારે તપાસ કરી તો ગાડીમાંથી દારૂનું ક્વાર્ટર મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે આ મામલે આઉટસોર્સ ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ વાનની ગાડીમાંથી દારૂનું ક્વાર્ટર મળ્યુંઅમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા ભવાની ચોક પાસે રાત્રે 10:00 વાગ્યાની આસપાસ પોલીસની ગાડીના ડ્રાઇવર દ્વારા બેફામપણે ગાડી ચલાવીને ડિવાઇડર ઉપર ચડાવી દેવામાં આવી હતી. ગાડીનો અકસ્માત થતા ત્યાંથી પસાર થતા લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. ગાડીમાં ડ્રાઇવર બેઠો હતો અને તેમાં તપાસ કરતા એક લાલ કલરના દારૂનું ક્વાર્ટર પણ ગાડીમાંથી મળી આવ્યું હતું. પોલીસની ગાડીનો ડ્રાઇવર પીધેલી હાલતમાં ઝડપાતા લોકોએ વીડિયો ઉતાર્યો લોકોના ટોળા ભેગા થઈ જતા નિકોલ પોલીસને જાણ થઈ હતી. જેથી પોલીસની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસે અકસ્માત થયો અને દારૂ પીધેલી હાલતમાં ડ્રાઇવર હોવાનું જાણવા મળતા ત્યાંથી સ્થાનિક લોકોને ભગાડ્યા હતા અને દૂર કર્યા હતા. દારૂ પીધેલી હાલતમાં પોલીસની ગાડીનો ડ્રાઇવર ઝડપાતા લોકોએ વીડિયો ઉતાર્યો હતો. નિકોલ પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ડ્રાઈવરની સામે ગુનો નોંધી ધરપકડ કરીનિકોલ પોલીસ સ્ટેશનની જ મહિલાઓની સુરક્ષા માટે રાખવામાં આવેલી શી ટીમની ગાડીનો આઉટસોર્સ ડ્રાઇવર રાકેશ પાટીલ (રહે. કઠવાડા રોડ) હોવાનું સામે આવ્યું હતું. પોલીસ દ્વારા દારૂ પીને ગાડી ચલાવવા બદલ રાકેશ પાટીલ વિરુદ્ધ ગુનો નોંધી અને તેની ધરપકડ કરવામાં આવી છે. શહેરમાં દારૂને લઈને છેલ્લા કેટલાય સમયથી લોકોમાં પણ રોષ છે, ત્યારે ખુદ પોલીસની ગાડીનો જ ડ્રાઇવર દારૂ પી અને ગાડી ચલાવતો હોવાનું સામે આવતા નિકોલ પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 12:12 pm

કુમકુમ મંદિરમાં ફૂલદોલોત્સવની ઉજવણી:કેસૂડાના જળથી શ્રી સ્વામિનારાયણ ભગવાન પર છંટકાવ કરાયો

મણિનગર સ્થિત સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે ફૂલદોલોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ અવસરે શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશેષ શ્વેત વસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યા હતા. ભક્તો દ્વારા ભગવાન પર કેસૂડાના જળનો છંટકાવ પણ કરાયો હતો. ઉત્સવ દરમિયાન નંદપદવીના સંતો દ્વારા રચિત કીર્તનોનું ગાન કરવામાં આવ્યું હતું અને ઓચ્છવ યોજાયો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ ભક્તોને ધાણી, ખજૂર અને ચણાનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ ફૂલદોલોત્સવ અને રંગોત્સવના મહત્વ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ફૂલદોલોત્સવ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો અત્યંત પ્રિય ઉત્સવ હતો. ભગવાન દર વર્ષે ધોરાજી, ગઢડા, લોયા, પંચાળા, બોટાદ, સારંગપુર અને વડતાલ જેવા વિવિધ સ્થળોએ આ ઉત્સવ ઉજવતા હતા. સાધુ પ્રેમવત્સલદાસજીએ વધુમાં ઉમેર્યું કે, જે ઉત્સવમાં ભગવાન અને તેમના સંતોના દર્શન થાય, તે માત્ર ઉજવણી નહીં પણ એક અવસર બની જાય છે. વડતાલમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને બાર દરવાજાવાળા હિંડોળામાં ઝુલાવવામાં આવ્યા હતા અને તેમણે બાર સ્વરૂપે બિરાજીને ભક્તોને દર્શન આપ્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં રંગોત્સવનું વિશેષ મહત્વ છે. ભગવાન આ ફૂલદોલોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવતા હતા. તેમની આ સ્મૃતિને તાજી રાખવા માટે છેલ્લા ૨૦૦ વર્ષથી સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં ફૂલદોલોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણી દરમિયાન શ્રી સ્વામિનારાયણ ભગવાન પર ગુલાલ અને કેસૂડાના જળથી તૈયાર કરાયેલો રંગ છાંટવામાં આવે છે. સંતો અને ભક્તો પણ એકબીજા પર રંગ છાંટી ઉત્સવનો આનંદ માણે છે. ભગવાનને ધાણી અને હારડાંના હારનો શણગાર પણ સજાવવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 12:00 pm

પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે:ધ્રાંગધ્રા ખાતે રૂ. 10.35 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

ગુજરાત રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા આજે, 5 માર્ચ, 2026, ગુરુવારના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે આવશે. આ પ્રવાસ દરમિયાન તેઓ સાયલા અને ધ્રાંગધ્રા ખાતે વિવિધ વિકાસલક્ષી સમીક્ષા બેઠકો યોજશે. ધ્રાંગધ્રામાં અંદાજે રૂ. 10.35 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. મંત્રીના નિર્ધારિત કાર્યક્રમ મુજબ, સૌપ્રથમ સાયલા મામલતદાર કચેરીના સભાખંડ ખાતે તેમની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાશે. આ બેઠકમાં ચોટીલા, સાયલા અને થાનગઢ તાલુકાના વર્ષ 2025-26 અને 2026-27ના વિકાસ આયોજન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ, મંત્રી ધ્રાંગધ્રા નગરપાલિકાની મુલાકાત લેશે. અહીં તેઓ ચીફ ઓફિસર અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી શહેરના વિકાસ કામોની પ્રગતિની સમીક્ષા કરશે. આ મુલાકાત દરમિયાન જોગાસર તળાવ ખાતે એક વિકાસલક્ષી કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં અમૃત 2.0 યોજના હેઠળ અંદાજે રૂ. 4 કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલ જોગાસર તળાવ અને ગાર્ડન ડેવલપમેન્ટના કામોનું મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત, મંત્રી દર્શનાબેન વાઘેલા દ્વારા ધ્રાંગધ્રા શહેર માટે સ્વચ્છ ભારત મિશન અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અંદાજે રૂ. 6.35 કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. આમ, તેમના આ પ્રવાસથી જિલ્લામાં કુલ રૂ. 10.35 કરોડથી વધુના વિકાસલક્ષી કાર્યોને વેગ મળશે.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 11:53 am

રંગોનો પર્વ ત્રણ પરિવાર માટે બેરંગ બન્યો, ત્રણ યુવક ડૂબ્યાં:તાપીના ઊંડા પાણીમાં નહાવા જતાં ગરકાવ; બેનો મૃતદેહ મળ્યો, એકની શોધખોળ જારી

રંગોના પર્વ ધુળેટીની ઉજવણી વચ્ચે સુરત શહેરમાંથી અત્યંત કરુણ સમાચાર સામે આવ્યા છે. તાપી નદીમાં નહાવા પડેલા યુવાનો પૈકી બે અલગ-અલગ દુર્ઘટનામાં બે યુવાને જીવ ગુમાવ્યા છે, જ્યારે હજુ પણ એક યુવકની શોધખોળ ચાલુ છે. તહેવારના દિવસે જ વ્હાલસોયા દીકરાઓ ગુમાવતા પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટના 1: સરથાણા નેચર પાર્ક પાછળ ત્રણ મિત્રો ડૂબ્યાગઈકાલે ધૂળેટીના દિવસે સરથાણા નેચર પાર્કની પાછળ વહેતી તાપી નદીમાં સાંજે ત્રણ યુવકો નહાવા માટે પડ્યા હતા. નદીના ઊંડા પાણીનો અંદાજ ન આવતા ત્રણેય મિત્રો ડૂબવા લાગ્યા હતા. ત્રણ મિત્રોમાંથી એક યુવકને તરતા આવડતું હોવાથી તે મહામુસીબતે બહાર નીકળી આવવામાં સફળ રહ્યો હતો. એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળઘટનાની જાણ થતા જ સુરત ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તાત્કાલિક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કલાકોની શોધખોળ બાદ 19 વર્ષીય જયદીપ નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે તેની સાથે ડૂબેલા ક્રિષ્ના નામના અન્ય એક યુવકની હજુ પણ શોધખોળ ચાલી રહી છે. ઘટના 2: મોટા વરાછા રિવરવ્યુ એપાર્ટમેન્ટ પાસે દુર્ઘટનાબીજી તરફ, મોટા વરાછા વિસ્તારમાં ગોકુલધામ પોલીસ ચોકીની પાછળ આવેલા રિવરવ્યુ એપાર્ટમેન્ટ પાસે પણ આવી જ એક કરુણ ઘટના બની હતી. અહીં પણ તાપી નદીમાં નહાવા પડેલો એક યુવક ડૂબી ગયો હતો. ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી નદીના ઉંડા પાણીમાં તપાસ હાથ ધરી હતી. શોધખોળ દરમિયાન એક 30 વર્ષીય યુવકની લાશ મળી આવી હતી. ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢી જરૂરી કાર્યવાહી બાદ પોલીસને સોંપ્યો છે. દીકરીઓના મોતથી પરિવારો પર આભ તૂટ્યુંરંગોથી રમીને આનંદ મનાવવાના દિવસે જ યુવાન દીકરાઓના મોતના સમાચાર મળતા પરિવારો પર આભ તૂટી પડ્યું છે. ખાસ કરીને સરથાણામાં હજુ એક યુવક લાપતા હોવાથી તેના પરિવારજનોની ચિંતામાં વધારો થયો છે. ફાયર વિભાગ દ્વારા હજુ પણ નદીમાં સર્ચ ઓપરેશન જારી રાખવામાં આવ્યું છે. તહેવાર કે સામાન્ય દિવસોમાં નદીના અજાણ્યા અને ઉંડા પાણીમાં ન્હાવા ન ઉતરવા માટે વહીવટી તંત્ર દ્વારા વારંવાર સૂચના આપવામાં આવે છે, છતાં આવી ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 11:52 am

અમરેલી તાલુકામાં 5 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત:મોટા માંડવડા સહિત ગામોમાં સુવિધા પથ, કેરાળામાં રોડ-પુલ બનશે

અમરેલી તાલુકામાં રાજ્ય કક્ષાના ઊર્જા અને કાયદો મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે આશરે 5 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કાર્યોમાં 'સુવિધા પથ', સી.સી. રોડ અને પુલના નિર્માણનો સમાવેશ થાય છે. આ વિકાસકાર્યો અંતર્ગત અમરેલી તાલુકાના મોટા માંડવડા, બાબાપુર, તરવડા અને મેડી ગામોમાં 'સુવિધા પથ' બનાવવામાં આવશે. મોટા માંડવડામાં આશરે 55 લાખ રૂપિયાના ખર્ચે, બાબાપુરમાં 1.95 કરોડ રૂપિયાના ખર્ચે, તરવડામાં 90 લાખ રૂપિયાના ખર્ચે અને મેડીમાં આશરે 85 લાખ રૂપિયાના ખર્ચે 'સુવિધા પથ' તૈયાર થશે. આ ઉપરાંત, કેરાળા ગામે સી.સી. રોડ અને પુલના નિર્માણ કાર્યનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કામો પૂર્ણ થવાથી સ્થાનિક ગ્રામજનોને પરિવહન, આવાગમન અને દૈનિક જીવનમાં નોંધપાત્ર સુવિધા મળશે. મંત્રી કૌશિક વેકરિયાએ કોન્ટ્રાક્ટરોને સમય મર્યાદામાં અને ગુણવત્તાયુક્ત કામ કરવા સૂચના આપી હતી. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર ગામડાઓમાં માર્ગ સુવિધા, પાણી પુરવઠા, આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓને મજબૂત બનાવવા સતત પ્રયત્નશીલ છે. આ વિકાસકાર્યોથી ગામડાઓમાં આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે અને લોકોના જીવનસ્તરમાં સુધારો થશે. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન માંગરોળીયા, સભ્ય મહિડા, તાલુકા પંચાયતના પ્રમુખ કાનપરિયા, અન્ય સભ્યો, અગ્રણીઓ ચેતનભાઈ ઘાનાણી, સંદિપભાઈ સોલંકી, કાળુભાઈ વાળા, મધુભાઈ હરખાણી, વિવિધ ગામના સરપંચો, સ્થાનિક આગેવાનો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 11:51 am

વાડીમાં રખોપું કરતાં વ્યક્તિ પર સિંહનો હુમલો:અમરેલીના ખાંભાના નવા માલકનેસનો બનાવ; મધરાતે સિંહ અગાશી પર ચડી ગયો

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નવા માલકનેસ ગામે મોડી રાત્રે વનરાજની ત્રાડથી ભયનો માહોલ છવાયો હતો. ખેતીની રખેવાળી કરવા માટે વાડીમાં મકાનની અગાસી પર સૂતા એક ખેડૂત પર સિંહે અચાનક હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. અગાસી પર રખોપું કરી રહેલા ખેડૂત પર હુમલો નવા માલકનેસ ગામમાં રહેતા 45 વર્ષીય મનસુખભાઈ સુખાભાઈ જાદવ પોતાની વાડીમાં મકાનની અગાસી પર રખોપું કરવા માટે સૂતા હતા. મધ્યરાત્રિએ સિંહે અચાનક અગાસી પર ચઢી તેમના પર હુમલો કર્યો હતો. આ ઓચિંતા હુમલામાં મનસુખભાઈને માથાના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી હતી. મિત્રના પડકારાથી સિંહ ભાગ્યો ઘટના સમયે મનસુખભાઈ સાથે અગાસી પર સૂતા તેમના સંબંધી ભરતભાઈએ જણાવ્યું હતું કે, સિંહે હુમલો કરતાની સાથે જ તેઓ જાગી ગયા હતા. સિંહને સામે જોઈ તેમણે જોરદાર પડકારા કર્યા હતા, જેના કારણે ડરીને સિંહ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા ઈજાગ્રસ્ત મનસુખભાઈને પ્રથમ ખાંભા ખાતે પ્રાથમિક સારવાર અપાઈ હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે અમરેલીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વન વિભાગ દ્વારા સિંહનું ટ્રેકિંગ શરૂ સિંહના હુમલાની જાણ થતા જ ખાંભા વન વિભાગની ટીમ કાફલા સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી. રહેણાંક અને વાડી વિસ્તારમાં સિંહના હુમલાથી ગ્રામજનોમાં ભારે ભય જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા હાલમાં સિંહ કઈ દિશામાં ગયો છે અને તેનું ચોક્કસ લોકેશન ક્યાં છે તે જાણવા માટે ટ્રેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 11:44 am

આંગડિયા પેઢીના કર્મીનું ધ્યાન ભટકાવી 20 લાખની ઉઠાંતરી:એક બાઈકચાલકે આવી ફરિયાદીને એડ્રેસ પૂછ્યું, એક્ટિવાની ડેકી ખુલતા પૈસા ગાયબ હતાં

શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી આંગડિયા પેઢીમાં કામ કરતા કર્મચારી પૈસા લઈને પરત આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં બાઇક પર આવેલા બે શખસે એડ્રેસ પૂછવાના બહાને ઊભા રાખીને એક્ટિવાની ડેકીમાંથી 20 લાખ રૂપિયા કાઢી લીધા હતા. આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. બપોરના સમયે 20 લાખ રૂપિયા લઈને ફરિયાદી નીકળ્યો હતાંનરોડામાં રહેતા 64 વર્ષે રમેશભાઈ પટેલ નવરંગપુરા સ્ટેડિયમ ચાર રસ્તા પાસે આવેલા પી. રમેશચંદ્ર કાંતિલાલ આંગડિયા પેઢીમાં કેશ લેવા મુકવા જવાનું કામ કરે છે. 3 માર્ચે પણ તેઓ નિયમિત ઓફિસ ગયા હતા. રમેશભાઈના શેઠે તેમને નવરંગપુરા નારાયણ સોસાયટીમાં આવેલી કમલેશ કુમાર કાંતિલાલ નામની આંગડિયા પેઢીમાંથી 20 લાખ લેવા જવા મોકલ્યા હતા. રમેશભાઈ બપોરના સમયે 20 લાખ રૂપિયા લઈને થેલી ડેકીમાં મૂકીને આવી રહ્યા હતા. ડેકી ખોલતા પૈસાની થેલી ગાયબ હતીરમેશભાઈએ જ્યારે ટ્રેડ સેન્ટર ખાતેની ઓફિસના પાર્કિંગમાં એકટીવા પાર્ક કર્યું, ત્યારે એક બાઈક પર અજાણ્યો વ્યક્તિ આવ્યો હતો, જેણે રમેશભાઈને નજીક બોલાવીને આ રસ્તો ક્યાં જાય છે તેમ કહી એડ્રેસ પૂછ્યું હતું. જે બાદ બાઇકચાલક જતો રહ્યો હતો. રમેશભાઈ એક્ટિવા પાસે ગયા ત્યારે એક્ટિવાની ડેકીમાં ચાવી લગાવતા ડેકી ખુલ્લી હતી, જેથી તેમણે તપાસ કરતા ડેકીમાં રાખેલી 20 લાખ રૂપિયા ભરી થેલી ગાયબ હતી. ચોરી થયાની જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધાવીરસ્તો પૂછવાના બહાને અજાણ્યો બાઈક ચાલકે તેમનું ધ્યાન ભટકાવ્યું અને અન્ય વ્યક્તિ નજર ચૂકવીને એક્ટિવાની ડેકીમાંથી 20 લાખ રૂપિયા ચોરી કરી ગયો હતો. આ અંગે રમેશભાઈએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 11:27 am

લગ્નપ્રસંગની માથાકૂટે કૌટુંબીક ભાઈઓ વચ્ચે મારામારી:લાકડાના ધોકાના આડેધડ ઘા ઝીંકતા યુવકના માથામાં ઇજા અને પગમાં ફ્રેક્ચર

ભાવનગરના ક.પરા વિસ્તારમાં દોઢ વર્ષ પહેલાં કૌટુંબીક લગ્ન પ્રસંગમાં થયેલી માથાકૂટની દાઝે બે કૌટુંબીક ભાઈઓએ પોતાના ભાઈ પર લાકડાના ધોકાથી હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવાનને માથામાં ઇજા અને પગમાં ફ્રેક્ચર થયું છે. ઇજાગ્રસ્તને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે પોલીસે બંને ભાઈ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. નાસ્તો લેવા જતાં રસ્તામાં હુમલો કર્યોભાવનગર ગંગાજળિયા પોલીસ મથક પાસેથી મળતી માહિતી મુજબ, ભાવનગર શહેરના ક.પરા વિસ્તારમાં રહેતા હિંમત ભોળાભાઈ રાઠોડ (ઉં.વ. 40)એ ફરિયાદ નોંધાવી છે કે, તેઓના કુટુંબી ભાઈ સુનિલ ભુપતભાઈ રાઠોડ સાથે આશરે દોઢેક વર્ષ પહેલા કૌટુંબીક લગ્ન પ્રસંગમાં માથાકટુ થઈ હતી અને સમાધાન પણ થઇ ગયું હતું. આ વાતની દાઝ રાખી હિમત સવારના સમયે મોટર સાઈકલ લઈને નાસ્તો લેવા જતા હતા, ત્યારે તેમના કાકાના દીકરા સુનીલ ભૂપતભાઈ રાઠોડ અને તેનો ભાઈ ભરત ભીખાભાઈ રાઠોડ ઘર પાસે ઉભા હતા. સુનીલના હાથમાં લાકડાનો ધોકો હતો અને તેણે સીધો માથા પર પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જતા-જતા આરોપીઓએ મારી નાખવાની ધમકી આપીબચાવ માટે હાથ આડો રાખતા કાંડા પાસે ઇજા થઈ હતી અને ત્યારબાદ માથાના ભાગે ઘા મારતા હિંમતભાઈ નીચે પડી ગયા હતા. ત્યારબાદ બંનેએ અપશબ્દો બોલી પગમાં આડેધડ ધોકા વડે માર માર્યો હતો. જોકે આજુબાજુમાં રહેતા લોકોએ વચ્ચે પડી વધુ મારથી બચાવ્યો હતો. બંને શખ્સો જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી નાસી ગયા હતા. પોલીસે બન્ને ભાઈ સામે ગુનો નોંધ્યોત્યારબાદ ઇજાગ્રસ્ત હિંમતભાઈને આસપાસના લોકોએ ઘરે પહોંચાડ્યા બાદ 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. માથામાં બે ટાંકા લેવાયા હતા, તેમજ જમણા પગમાં ફ્રેક્ચર હોવાનું નિદાન થતા વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તેઓ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. તેઓની ફરિયાદના આધારે પોલીસે સુનીલ રાઠોડ અને ભરત રાઠોડ સામે BNS કલમ 117(2), 118(1), 115(2), 352, 351(3), 54 તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 11:17 am

યુદ્ધ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલ વધી, અમેરિકાની ટ્રેડ કોર્ટે ટેરિફ રિફંડ કરવાનો આદેશ આપ્યો

US Trade Court Orders Trump Refunds Tariff : ડોનાલ્ડ ટ્રમ્પની આર્થિક નીતિઓ પર અમેરિકી ન્યાયતંત્રએ લાલ આંખ કરી છે. યુએસ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડે બુધવારે કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનને આદેશ આપ્યો છે કે, જે કંપનીઓએ IEEPA કાયદા હેઠળ ટેરિફ ચૂકવ્યા છે, તેમને તે રકમ પરત કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે ગયા મહિને જ આ ટેરિફને રદ કરી દીધા હતા, અને હવે રિફંડનો રસ્તો સાફ થઈ ગયો છે. સુપ્રીમ કોર્ટે ટેરિફને કેમ ગણાવ્યા ગેરકાયદે? ગયા ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટે 6-3ના બહુમતી ચુકાદામાં ટ્રમ્પના આ ઈમરજન્સી ટેરિફને ગેરકાયદે ગણાવ્યા હતા.

ગુજરાત સમાચાર 5 Mar 2026 11:16 am

ગરમીનો પારો 38°ને પાર, માર્ચના પ્રારંભે જ સુરતીઓ પરસેવે રેબઝેબ:'ડબલ સીઝન'નો માર, વહેલી સવારે ઠંડક અને બપોરે લૂ, વાયરલ ઇન્ફેક્શનનો ખતરો વધ્યો

દક્ષિણ ગુજરાતમાં ઉનાળાએ સત્તાવાર રીતે દસ્તક આપી દીધી હોય તેમ તાપમાનમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. આજે 5 માર્ચ, 2026ના રોજ સુરતનું મહત્તમ તાપમાન 37.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા શહેરીજનોએ અંગ દઝાડતી ગરમીનો અનુભવ કર્યો હતો. માર્ચ મહિનાના પ્રારંભિક દિવસોમાં જ ગરમીનો પારો 38 ડિગ્રીની નજીક પહોંચી જતાં આગામી દિવસોમાં આકરા ઉનાળાના સંકેતો મળી રહ્યા છે. હવામાન વિભાગના આંકડા અનુસાર, શહેરમાં લઘુત્તમ તાપમાન 20.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આનો અર્થ એ થયો કે વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે આકરો તાપ એમ બેવડી ઋતુનો અનુભવ સુરતીઓ કરી રહ્યા છે. તાપમાનમાં જોવા મળતો આ મોટો તફાવત સામાન્ય જનજીવન પર અસર પાડી રહ્યો છે, જેના કારણે સવાર-સાંજ અને બપોરના વાતાવરણમાં મોટો ફેરફાર દેખાઈ રહ્યો છે. હવામાં ભેજનું સ્તર 80% જેટલું ઊંચું રહ્યુંગરમીની સાથે હવામાં ભેજનું પ્રમાણ પણ નોંધપાત્ર જોવા મળ્યું છે. આજે હવામાં ભેજનું સ્તર 80% જેટલું ઊંચું રહ્યું હતું. જ્યારે તાપમાન ઊંચું હોય અને ભેજનું પ્રમાણ વધારે હોય, ત્યારે પવનની ગતિ સામાન્ય હોવાને કારણે બફારો અને અકળામણ વધુ વર્તાય છે. પવનની ગતિ શૂન્ય જેવી રહેતા પરસેવાથી તરબતર થતા લોકોએ ઓફિસ અને ઘરોમાં એસી-પંખાનો આશરો લેવો પડ્યો હતો. ડિહાઇડ્રેશન-વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારાની શક્યતાવાતાવરણમાં આવેલા આ અચાનક બદલાવની અસર આરોગ્ય પર પણ જોવા મળી રહી છે. હવામાં ભેજ અને બપોરના આકરા તાપને કારણે ડિહાઇડ્રેશન અને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે. આરોગ્ય નિષ્ણાતોએ નાગરિકોને સીધા તડકામાં જવાનું ટાળવા અને બને તેટલું વધુ પાણી તથા પ્રવાહી આહાર લેવાની સલાહ આપી છે, જેથી શરીરમાં પાણીનું સ્તર જળવાઈ રહે. તાપમાન હજુ વધવાની સંભાવનાસ્થાનિક હવામાન કચેરીના જણાવ્યા અનુસાર, વાતાવરણનું દબાણ 1014.7 hpa નોંધાયું છે. આગામી અઠવાડિયામાં જો પશ્ચિમી પવનો ફૂંકાવાનું શરૂ થશે તો ગરમીના પારામાં હજુ પણ 1થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 11:09 am

બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ છું

Nitish Kumar to Resign as Bihar CM | બિહારના મુખ્યમંત્રી તથા JDUના સર્વોચ્ચ નેતા નીતિશ કુમારે રાજ્યના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કહ્યું છે કે હું રાજ્યસભાનો સદસ્ય બનવા માંગુ છું. રાજ્યની નવી સરકારને મારું સમર્થન અને માર્ગદર્શન રહેશે. બે દાયકાથી મેં પૂર્ણ નિષ્ઠાથી તમારી સેવા કરી: નીતિશ કુમાર

ગુજરાત સમાચાર 5 Mar 2026 11:07 am

Fact Check: અમેરિકાએ ભારતના બંદરથી ઈરાન પર છોડી મિસાઈલ? વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા

(IMAGE - IANS) Use of Indian Ports for War: ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભયાનક જંગની વચ્ચે ભારતે એક મોટી અફવાને સખત શબ્દોમાં નકારી કાઢી છે. વિદેશ મંત્રાલય(MEA) એ સ્પષ્ટતા કરી છે કે અમેરિકા ભારતીય બંદરો કે નેવલ બેઝનો ઉપયોગ કરીને ઈરાન પર હુમલા કરી રહ્યું હોવાના દાવા સંપૂર્ણપણે 'ફેક અને ખોટા' છે.

ગુજરાત સમાચાર 5 Mar 2026 11:04 am

વડોદરામાં નશામાં ધૂત થઈ બાઈક ચાલકે મહિલાને અડફેટે લીધી:મહિલા અને ચાલક બંને લોહીલુહાણ, આરોપીએ કહ્યું: મારો હાથ પકડો, મારા માથા પર પાણી નાંખો, મારી આંખ ખુલે પછી, જે કરવું હોય તે કરજો

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં ગઈકાલે રાત્રે નશામાં ધૂત થઈને બાઈક ચલાવતા યુવકે એક મહિલાને ટક્કર મારી હતી. જેમાં મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી. ઘટનાને પગલે ગોરવા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આરોપીની ધરપકડ કરી હતી અને તેની સામે અકસ્માતા અને પ્રોહીબિશનનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. નશાના ધૂત આરોપી વિવેક શેરબહાદુર શ્રીવાસ્તવે કહ્યું હતું કે, અરે, મારો હાથ તો કોઈ પકડો યાર. મારી વાત સાંભળો. મારા માથા પર થોડું પાણી નાખી આપો, મારી આંખ ખુલે પછી તમારે જે કરવું હોય તે કરજો, ખાલી માથા પર થોડું પાણી નાખી આપો.​ વડોદરા કરોડીયા રોડ પર રહેતા ફરિયાદી રીનાબેન હિતેશભાઈ વસાવા (ઉંમર 33 વર્ષ), એ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તા. 4 માર્ચના રોજ રાત્રીના આશરે 8.45 વાગ્યાના સુમારે રીનાબેન ઘરેથી ચાલવા માટે નીકળ્યા હતા અને તેઓ મધુનગર તરફ ગયા હતા. પરત ફરતી વખતે તેઓ મધુનગર પાસેથી રોડ ક્રોસ કરીને ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે એક મોટરસાયકલ ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવીને પાછળથી અથડાવી દીધી હતી. આ અકસ્માતમાં રીનાબેન રોડ પર પડી ગયા હતા અને તેમને માથાના કપાળના ભાગે, ડાબી આંખની પાંપણ પર, નાકના ભાગે તથા મોંના અંદરના ભાગે ઈજા થઈ હતી. અકસ્માત કરનાર બાઈક ચાલક પણ પોતાની સાયકલ સાથે રોડ પર પડી ગયો હતો. તે પણ ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની જાણ થતાં જ સોસાયટીના લોકો તથા તેમના પતિ હિતેશભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઈજાગ્રસ્ત રીનાબેનને તેમના પતિએ કારમાં બેસાડીને ગોત્રી જનરલ હોસ્પિટલમાં લઈ જઈને સારવાર અર્થે દાખલ કરાવી હતી. હાલ તેમની સારવાર ચાલુ છે. આ અકસ્માતમાં આરોપી વિવેક શેરબહાદુર શ્રીવાસ્તવ (રહે. રૂષીનગર, ગોરવા પોલીસ સ્ટેશનની બાજુમાં, ગોરવા, વડોદરા) સામે ગોરવા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે તેની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 10:54 am

ધુળેટીએ અસામાજિક તત્વોનો આતંક, CCTV:કતારગામમાં ગંદા પાણીની કોથળીઓ ફેંકી, મહિલાઓના કપડા ફાડ્યા; કડા-દંડાઓથી ઢોર માર માર્યો, વચ્ચે પડ્યા એમને પણ ફટકાર્યા

ડાયમંડ સિટીમાં શાંતિપૂર્ણ રીતે ઉજવાતા ધુળેટીના પર્વમાં કતારગામ વિસ્તારમાં અસામાજિક તત્વોએ માજા મૂકી હતી. કતારગામના બાપાસીતારામ ચોક પાસે આવેલી રૂક્ષ્મણી સોસાયટી નજીકથી પસાર થઈ રહેલા એક નિર્દોષ પરિવાર પર લુખ્ખા તત્વોએ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ હિચકારા હુમલામાં મહિલાઓ સહિત 12 જેટલા લોકોને ઇજા પહોંચી છે. ગંદા પાણીની કોથળીઓ ફેંકી વિવાદ છેડ્યોધુળેટીના દિવસે એક પરિવાર પોતાની ગાડીમાં સવાર થઈને રૂક્ષ્મણી સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે રસ્તા પર ઉભેલા કેટલાક લુખ્ખાતત્વોએ ગાડી પર ગંદા પાણીની કોથળીઓ ફેંકી હતી. પરિવારે આ બાબતે વિરોધ કરતા મામલો બિચક્યો હતો. અસામાજિક તત્વોએ દાદાગીરી કરી ગાડીની ચાવી કાઢી લીધી હતી અને અભદ્ર ગાળાગાળી શરૂ કરી દીધી હતી. કડા અને ફટકાઓથી ઢોર માર માર્યોઝઘડો એટલો ઉગ્ર બન્યો કે લુખ્ખાતત્વોએ ઉશ્કેરાઈ જઈને પરિવાર પર હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ હાથમાં પહેરેલા ભારે કડા અને લાકડાના ફટકાઓ વડે પરિવારના સભ્યોને બેરહેમ રીતે માર માર્યો હતો. આ દરમિયાન બચાવવા વચ્ચે પડેલા અન્ય યુવકો અને મહિલાઓને પણ છોડવામાં આવ્યા નહોતા. કુલ 12 જેટલા મહિલા અને પુરુષોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. CCTVમાં કેદ થઈ સમગ્ર ઘટનાઆ હુમલાની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે લુખ્ખાતત્વો રસ્તા પર આતંક મચાવી રહ્યા છે અને નિર્દોષ લોકોને નિશાન બનાવી રહ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો સ્મીમેર હોસ્પિટલ દોડી ગયો હતો અને ઇજાગ્રસ્તોના નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે CCTV ફૂટેજ કબજે કર્યા છે અને તેના આધારે હુમલાખોરોની ઓળખ કરી તેમને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 10:51 am

ગઢડાના ગોરડકા ગામે મારામારીની ફરિયાદ નોંધાઈ:ગાડી ધીમી ચલાવવાનું કહેતા હુમલો કરી મારી નાખવાની ધમકી આપી, ત્રણ સામે ફરિયાદ નોંધાઈ

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરડકા ગામમાં ગાડી ધીમી ચલાવવા બાબતે થયેલી મારામારી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ ગઢડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કેટલાક લોકોને ઈજાઓ પણ થઈ છે. બનાવની વિગત મુજબ, ગોરડકા ગામના રહેવાસી નિતેશભાઈ બાબુભાઈ ગોહિલ પોતાના ઘરની બહાર દુકાને બેઠા હતા. તે સમયે તેમના બાળકો શેરીમાં રમી રહ્યા હતા. આ દરમિયાન રાહુલભાઈ ભવાનભાઈ મેર પોતાની ફોર વ્હીલર ગાડી લઈને શેરીમાંથી પસાર થઈ રહ્યા હતા. શેરી સાંકડી હોવાને કારણે અને બાળકો રમતા હોવાથી નિતેશભાઈએ રાહુલભાઈને ગાડી ધીમી ચલાવવા જણાવ્યું હતું. આ વાત પર રાહુલભાઈ મેરે ગાળો આપી ઝઘડો શરૂ કર્યો હતો. ત્યારબાદ રાહુલભાઈએ તેમના ભાઈ સંજયભાઈ ભવાનભાઈ મેર અને ગેલાભાઈ સાતાભાઈ મેરને બોલાવી નિતેશભાઈ સાથે મારામારી કરી હતી. આ મારામારીમાં નિતેશભાઈ ગોહિલ અને અન્ય બે વ્યક્તિઓને ઈજાઓ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ગઢડા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. નિતેશભાઈ ગોહિલે રાહુલભાઈ મેર, સંજયભાઈ મેર અને ગેલાભાઈ મેર વિરુદ્ધ મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. ગઢડા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 10:49 am

દરેડ રોડ પર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ:10 ફૂટ ઊંચા ફુવારા સાથે હજારો લિટર પાણી વેડફાયું

જામનગરના દરેડ રોડ પર પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. આ ઘટનાને કારણે રસ્તા પર 10 ફૂટથી વધુ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા હતા, જેના પરિણામે હજારો લિટર પીવાનું શુદ્ધ પાણી વેડફાયું હતું. શહેરના છેવાડે આવેલા અને વ્યસ્ત દરેડ રોડ પર અચાનક આ ભંગાણ સર્જાતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પાઇપલાઇનમાં પાણીનું દબાણ વધુ હોવાથી પાણીના પ્રચંડ ફુવારા ઉડ્યા હતા, જે જોઈને રાહદારીઓ અને વાહનચાલકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.પાઇપલાઇન ફાટવાને કારણે ગણતરીની મિનિટોમાં જ આસપાસના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. દરેડ ગામ અને ઉદ્યોગનગર તરફ જતો મુખ્ય માર્ગ જળબંબાકાર થઈ ગયો હતો. રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને ટ્રાફિક સમસ્યા પણ સર્જાઈ હતી.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 10:31 am

ધૂળેટી પાર્ટીમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પડતા તોડફોડ મચાવી:અમદાવાદના 'બ્રજ વાઇબ્સ'ના આયોજકોની અસુવિધાથી લોકો ભભૂક્યા; ડીજે અને મંડપના સેટ ઉથલાવી હોબાળો મચાવ્યો

અમદાવાદના પોશ ગણાતા સિંધુભવન રોડ પર ધુળેટીની ઉજવણીમાં ભંગ પડ્યો હતો, જ્યાં 'બ્રજ વાઇબ્સ' દ્વારા આયોજિત પાર્ટીમાં મિસમેનેજમેન્ટનો આક્ષેપ કરી લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ગ્રીન પ્લેસ પાર્ટી પ્લોટમાં આયોજિત આ ઇવેન્ટમાં મ્યુઝિક બંધ થતાં અને સુવિધાઓના અભાવે રોષે ભરાયેલા યુવકોએ ડીજે સિસ્ટમ અને મંડપના ડેકોરેશનમાં તોડફોડ કરી હતી, જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. જોકે, આયોજકોએ લુખ્ખા તત્વો પર તોડફોડનો આરોપ લગાવ્યો છે. ઘટનાની જાણ થતાં બોપલ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને સમજાવટ બાદ મામલો થાળે પાડ્યો હતો. હાલ આ મામલે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી,પરંતુ આયોજકો દ્વારા રિફંડ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આયોજકોની અસુવિધાને પગલે ખેલૈયાઓ રોષે ભરાયા હતાસિંધુ ભવન રોડ પર ગ્રીન પ્લેસ પાર્ટી પ્લોટમાં બ્રજ વાઇબ્સના આયોજકો દ્વારા એક ધૂળેટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં આયોજકો દ્વારા પાસ માટેની ફી વસુલ્યા બાદ એ પ્રમાણેની સુવિધાઓ ન આપવામાં આવતા ખેલૈયાઓ રોષે ભરાયા હતા અને પાર્ટી પ્લોટમાં તોડફોડ મચાવી હતી. જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. ચાર-પાંચ લુખ્ખા તત્વોએ કૃત્ય કર્યું હતું: પાર્ટી આયોજકબ્રજ વાઇબ્સ ધુળેટી પાર્ટીનું આયોજન કરનાર વીરસિંઘે જણાવ્યું હતું કે, ધુળેટી પાર્ટીનું આયોજન અમારા તરફથી કરવામાં આવ્યું હતું. જેમાં ડીજે અને તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ કેટલાક ચાર પાંચ જેટલા લુખ્ખા તત્વો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હતું. હું આખો દિવસ ત્યાં હતો અને ડીજે આર્ટિસ્ટ પણ લાવવામાં આવ્યા હતા. વચ્ચે એક વખત મ્યુઝિક બંધ થયું હતું જે બાદ કેટલાક લોકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. કેટલાક ચોક્કસ તત્વો દ્વારા આ કરવામાં આવ્યું હતું જેના ફોટા અને વીડિયો પણ મારી પાસે છે. પોલીસ બોલાવવામાં આવી હતી અને પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો. લોકોને રિફંડ આપવાની પ્રક્રિયા પણ કરવામાં આવી રહી છે. પાર્ટી પ્લોટના તોડફોડના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલસોશિયલ મીડિયામાં ધુળેટીની પાર્ટીમાં અવ્યવસ્થા અને યોગ્ય મેનેજમેન્ટ ન હોવાને લઈને તોડફોડ કરવામાં આવી હોવા અંગેનો વીડિયો વાઇરલ થયો હતો. વાઇરલ વીડિયો શહેરના સિંધુભવન રોડ પર બ્રજ વાઇબ્સ નામની ધુળેટીની પાર્ટીનો હોવાનું જાણવા મળ્યું હતું. લોકો દ્વારા પાર્ટી પ્લોટમાં તોડફોડ કરવામાં આવી હતી અને ડીજે પાડી દેવામાં આવ્યા હતા. પાર્ટી કરવા માટે મંડપ લગાવવામાં આવ્યા હતા અને જે ડેકોરેશન કરવામાં આવ્યું હતું તેમાં પણ તોડફોડ કરવામાં આવી હતી અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યોતોડફોડ અને હોબાળો કરવામાં આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી બોપલ પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસ દ્વારા સ્થળ પર લોકોને સમજાવવામાં આવ્યા હતા, તેમજ આયોજકો સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ સમગ્ર બાબતે પોલીસે સમજાવટ કરી હતી અને મામલો થાળે પાડ્યો હતો. જો કે, આ બાબતે હવે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 10:10 am

ન્હાવા ગયેલા 2 મિત્રોમાંથી એક ડૂબ્યો:વડોદરા પાસે ધૂળેટીના દિવસે મહીસાગર નદી અને નર્મદા કેનાલમાં અલગ અલગ બનાવોમાં 3 યુવક ડૂબ્યા, એકનો મૃતદેહ મળ્યો, બેની શોધખોળ ચાલુ

વડોદરા શહેર અને આસપાસના વિસ્તારમાં ધૂળેટીના દિવસે મહીસાગર નદી અને નર્મદા કેનાલમાં અલગ અલગ બનાવોમાં 3 યુવક ડૂબ્યા હતા. જેમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે બે યુવકની શોધખોળ ચાલી રહી છે. વડોદરા શહેરની સમા-છાણી નર્મદા કેનાલમાં ગત સાંજે 25 વર્ષીય યુવક અજય શર્મા તેના મિત્ર સાથે ન્હાવા માટે ગયો હતો. જેમાં ન્હાતી વખતે અજય શર્મા અચાનક ડૂબવા લાગ્યો હતો. ઘટનાની જાણ થતા વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના દોડી ગઈ હતી અને યુવકની શોધખોળ શરૂ કરી હતી. જોકે મોડી રાત સુધી યુવકનો કોઈ પતો લાગ્યો ન હતો. જેથી આજે ફરી શોધખોળ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક કોર્પોરેટર મહાવીર રાજપુરહિતે જણાવ્યું હતું કે, ઘટના વડોદરાના વોર્ડ નંબર 2 વિસ્તારમાં આવેલી સમા-છાણી નર્મદા કેનાલ પાસે બની છે. આ કેનાલનો ભાગ ચામુંડા નગર તરફ આવેલો છે. બે યુવાનો અહીં કેનાલમાં સ્નાન કરવા માટે આવ્યા હતા. સ્નાન કરતી વખતે તેમાંથી એક યુવાન પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. યુવાનના પરિવાર દ્વારા ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી. આ માહિતી મળતા જ તુરંત ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગને જાણ કરવામાં આવી હતી.હાલ ફાયર બ્રિગેડના જવાનો અને યુવાનો સ્થળ પર હાજર છે. તેઓ દ્વારા કેનાલમાં ડૂબેલા યુવાનનો મૃતદેહ શોધવાના પ્રયાસો ચાલુ છે. બીજી તરફ તો વડોદરા નજીક ભીમપુરા ચેકપોસ્ટ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં 25 વર્ષનો યુવક આશિષ વર્મા ડૂબ્યો હતો. ઘટનાની જાણ થતા વડીવાડી ફાયર સ્ટેશનની ટીમ ટીમ ઘટના ધરી દોડી ગઈ હતી અને એક કલાકની જહેમત મૃતદેહને બહાર કાઢ્યો હતો. 108 એમ્બ્યુલન્સની ટીમે સીપીઆર આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવકનો જીવ બચી શક્યો નહોતો. પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. ત્રીજી ઘટનામાં ઉમેટા મહીસાગર બ્રિજ પાસે મહીસાગર નદીમાં એક ડૂબ્યો હતો. જેની જાણ થતાં વડોદરા ફાયર બ્રિગેડની ટીમે તેની શોધખોળ શરૂ કરી છે. જોકે હજુ સુધી યુવકનો કોઈ પત્તો લાગ્યો નથી.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 9:59 am

બાળકે કહ્યું- મમ્મી ત્યાં મગર છે ને પછી દોડધામ મચી:ઉર્મિ બ્રિજ પર અને ગોકુલ ડુપ્લેક્સ પાસે 10 ફૂટનો મગર આવી જતા અફરાતફરી, વનવિભાગે રેસ્કયૂ કર્યું

સામાન્ય રીતે ચોમાસામાં વડોદરા શહેરમાં મગર દેખાતા હોય છે, પરંતુ ચોમાસા પછી પણ વડોદરા શહેરમાં મગરો દેખાવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ગઇકાલે(4 માર્ચ) મોડી રાત્રે વડોદરા શહેરમાં બે મગરો જોવા મળતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે વનવિભાગની ટીમે બંને મગરનું રેસ્ક્યૂ કર્યું હતું. ઉર્મિ બ્રિજ પર 10 ફૂટનો મહાકાય મગર આવી જતા દોડધામશહેરના સમા-સાવલી રોડ પર આવેલા ઉર્મિ બ્રિજ પર મોડી રાત્રે 10 ફૂટનો મહાકાય મગર આવી જતા રસ્તા પર દોડધામ મચી ગઈ હતી. મગર મુખ્ય રોડ પર લટાર મારતો જોવા મળ્યો હતો. જેથી લોકોના ટોળેટોળા રોડ પર એકત્ર થઈ ગયા હતા. એક રાહદારીએ વનવિભાગને કોલ કરતા તુરંત જ વનવિભાગ અને જીવદયા પ્રેમીઓ દોડી ગયા હતા અને મગરને સહીસલામત રીતે રેસ્ક્યુ કરીને વનવિભાગમાં મોકલી આપ્યો હતો. જામ્બુવા બ્રિજ પાસે 10 ફૂટનો મગર આવી જતા અફરાતફરીબીજી તરફ વડોદરા શહેરના છેવાડે આવેલા જામ્બુવા બ્રિજ પાસે ગોકુલ ડુપ્લેક્સ પાસે 10 ફૂટનો મગર આવી ચડતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી અને એક બાળકે તેની માતાને કહ્યું હતું કે, મમ્મી ત્યાં મગર બેઠો છે. જેથી સ્થાનિકોએ તુરંત જ વનવિભાગ અને જીવદયા પ્રેમીઓને જાણ કરી હતી. જેથી વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચીને મગરને રેસ્ક્યુ કર્યું હતું. અહીં જામ્બુવા નદી નજીક છે અને સોસાયટીની બાજુમાં આવેલા તળાવમાં પણ મગર આવી જાય છે, જેથી અવારનવાર સોસાયટી પાસે મગરો આવી જતા હતા, જોકે મગરનું રેસ્ક્યુ કરવામાં આવતા લોકોએ રાહત અનુભવી છે. વડોદરા જિલ્લામાં 1 હજાર કરતા વધુ મગરઉલ્લેખનીય છે કે, વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જોકે, આજે વિશ્વામિત્રી નદીમાં 417 જેટલા મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે. મગર શેડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી છેમગર શેડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી 4 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે. નદી કિનારે શું સાવચેતી રાખવી?

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 9:32 am

ગાંધીનગર ફાયર બ્રિગેડના જવાનો દેવદૂત બન્યા:સુઘડ કેનાલમાં મોતની છલાંગ લગાવનાર મહિલાને ગણતરીની મિનિટોમાં ઉગારી; ધૂળેટીએ નવજીવન આપ્યું

હોળી અને ધૂળેટીના પવિત્ર પર્વની ઉજવણી વચ્ચે ગાંધીનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની સમયસૂચકતા અને સતર્કતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી. સુઘડ નર્મદા કેનાલમાં આત્મહત્યાના ઈરાદે કૂદેલી મહિલાને ઓનડ્યુટી ફાયર જવાનોએ ગણતરીની મિનિટોમાં જ સહી સલામત બહાર કાઢી નવજીવન આપ્યું હતું. મહિલાને કેનાલમાં કૂદતા જોઈ ફાયર જવાનો પણ બચાવવા કૂદ્યાહોળી અને ધૂળેટીના પવિત્ર પર્વની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં માટે આ વખતે નદી અને કેનાલ વિસ્તારોમાં 26 ટીમો અને 52 જવાનો ખડેપગે તહેનાત કરવામાં આવ્યા હતા . ત્યારે ગઈકાલે સાંજે સુઘડ નર્મદા કેનાલ પાસે ફરજ પર તહેનાત ફાયરમેન રાકેશ કટારા અને હરેશ રાવળે એક મહિલાને કેનાલમાં કૂદતા જોઈ હતી. જેના પગલે સેકન્ડોનો પણ વિલંબ કર્યા વિના બંને જવાનોએ કેનાલના ધસમસતા પાણીમાં ઝંપલાવ્યું હતું. ભારે જહેમત બાદ મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. રેસ્ક્યૂ બાદ મહિલાને 112 જનરક્ષક પોલીસ મોબાઈલને સોંપવામાં આવી હતી. શહેરના તમામ જળાશયો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતોમહત્વનું છે કે, ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ જળાશયો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રંગોનો આ તહેવાર કોઈ પરિવાર માટે માતમમાં ન ફેરવાય તે હેતુથી અમે 26 સ્પેશિયલ ટીમો બનાવી હતી. તારીખ 2થી 4 માર્ચ દરમિયાન સવારે 9થી રાત્રે 8 વાગ્યા સુધી 52 જવાનો સતત પેટ્રોલિંગમાં હતા. સતત મોનિટરિંગને પગલે એકપણ ડૂબી જવાનો કોલ મળ્યો ન હતોટીમ દ્વારા સાબરમતી નદી અને નર્મદા કેનાલના વિસ્તારો જેવા કે સેક્ટર 30 બ્રિજ, સંત સરોવર, કોટેશ્વર મહાદેવ, શાહપુર બ્રિજ અને ગિફ્ટ સિટી સિગ્નેચર બ્રિજ, ભાટ ટોલ પ્લાઝા, ધોળેશ્વર મહાદેવ કરાઈ સાયફન, નભોઈ, સુઘડ અને ઝુંડાલ કેનાલ સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. જેના લીધે સાંજના સાત વાગ્યા સુધીમાં પાણીમાં ડૂબી જવાનો એક પણ ગંભીર કોલ નોંધાયો નહતો. અગાઉ ગણેશ વિસર્જન દરમિયાન પણ ફાયર વિભાગે આ જ રીતે સરાહનીય કામગીરી કરી હતી.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 9:31 am

ધુળેટીનાં પાવન પર્વે નવજીવન આપ્યું:અશોકભાઈ સાવલિયાએ છ વર્ષ કિડનીની પીડા વેઠી, પણ જતાં-જતાં લીવરદાનથી એક પરિવારમાં નવા રંગ ભર્યા

માનવતાનો સૌથી મોટો ધર્મ 'પરોપકાર' છે, અને આ વાતને સાંગણવા ગામના એક સાધારણ ખેડૂત પરિવારે સાચી કરી બતાવી છે. જેમાં 52 વર્ષીય અશોકભાઈ સાવલિયા, જેઓ પોતે છેલ્લા 6 વર્ષથી કિડની ફેલ્યુર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા અને નિયમિત ડાયાલિસિસ પર હતા, તેમની વિદાય વેળાએ તેમના પરિવારે લીવરનું દાન કરી એક અન્ય વ્યક્તિને મરણપથારીએથી બેઠી કરી છે. ધૂળેટીના પાવન પર્વે જ્યારે આખું જગત રંગોથી રમી રહ્યું હતું, ત્યારે અશોકભાઈના પરિવારે કોઈના જીવનમાં ખુશીઓના કાયમી રંગ ભરવાનો ઉમદા નિર્ણય લીધો હતો. તારીખ 3 માર્ચ 2026ની એ સવાર અશોકભાઈના પરિવાર માટે કાળમુખી સાબિત થઈ. દર વખતની જેમ અશોકભાઈ ડાયાલિસિસ માટે નીકળ્યા હતા, પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. રસ્તામાં અચાનક માથું દુખવા લાગ્યું અને જોતજોતામાં તેઓ બેભાન થઈ ગયા. તેમને તાત્કાલિક ઓલમ્પસ હોસ્પિટલ ખસેડાયા, જ્યાં તબીબોએ તપાસ બાદ જણાવ્યું કે તેમને બ્રેઈન હેમરેજ થયું છે અને બચવાની શક્યતા નહિવત છે. જે વ્યક્તિ પોતે વર્ષોથી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી ફરીથી સ્વસ્થ થવાના સપના જોતી હતી, આજે એ જ વ્યક્તિ જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી. આ કપરા સમયે દિવ્યમ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર નિશાબેન મહેતાએ અશોકભાઈના પુત્ર મીતભાઈને એક નવી રાહ ચીંધી. તેમણે સમજાવ્યું કે ભલે અશોકભાઈની કિડનીઓ કામ નથી કરતી, પણ જો તેમનું લીવર સારું હોય તો તે કોઈના મૃત્યુના મુખમાંથી બચાવી શકે છે. મીતભાઈએ પોતાના અંગત દુઃખને બાજુ પર મૂકી, ડો. દિવ્યેશ વિરોજા પાસે અંગદાનની સંપૂર્ણ માહિતી લીધી. પત્ની ઉષાબેન, દીકરી આરઝૂબેન અને પરિવારના તમામ સભ્યોએ એક સૂરે સંમતિ આપી કે, અમારા સ્વજન ભલે અમારી વચ્ચે ન રહે, પણ તેમના અંગો કોઈના શરીરમાં ધબકતા રહે તો તેનાથી મોટી શ્રદ્ધાંજલિ બીજી શું હોઈ શકે? ઓલમ્પસ હોસ્પિટલમાં રજીસ્ટ્રેશનની ટેકનિકલ મર્યાદાઓને કારણે, અશોકભાઈને તાત્કાલિક બી ટી સવાણી કિડની હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા. અહીં ડો. કાર્તિક કાછડીયા, ડો. કરણ મોઢવાડિયા અને ડો. આનંદ કારીયા સહિતની ટીમે તેમને 'બ્રેઈન ડેડ' જાહેર કર્યા. કોર્ડીનેટર ડો. અમિત ગોહેલે ત્વરિત ગતિએ SOTTO સાથે સંકલન સાધ્યું. સુરતની કિરણ હોસ્પિટલની ટીમ લિવર લેવા માટે રાજકોટ દોડી આવી હતી. અને ધુળેટીનાં દિવસે તા. 4 માર્ચ 2026ના રોજ અશોકભાઈના લિવર મેળવવાનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું હતું. રાજકોટ ટ્રાફિક પોલીસના સહયોગથી 'ગ્રીન કોરિડોર' બનાવવામાં આવ્યો અને આ લિવરને એર એમ્બ્યુલન્સ મારફતે સુરત મોકલવામાં આવ્યું, જ્યાં તે એક દર્દીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરી તેને નવું જીવન આપવામાં આવ્યું. ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ભાવનાબેન મંડલીએ પણ પરિવારને આ હિંમતભર્યા નિર્ણયમાં સાંત્વના આપી સાથ આપ્યો હતો. અને જણાવ્યુ હતુ કે, અશોકભાઈ સાવલિયાના પરિવારે જે બલિદાન આપ્યું છે, તે સમાજ માટે દીવાદાંડી સમાન છે. જે વ્યક્તિએ પોતે વર્ષો સુધી બીમારીની વેદના સહન કરી હોય, તેના પરિવારે બીજાની વેદના સમજીને જે ઉદારતા દાખવી છે તે ખરેખર વંદનીય છે. આજે અશોકભાઈ આપણી વચ્ચે નથી, પણ તેમના લિવર થકી એક અજાણ્યા વ્યક્તિને નવજીવન મળશે.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 9:30 am

નેપાળમાં ચૂંટણીના કારણે 60 ગુજરાતીઓ ફસાયા:આજે ભારત પરત ફરવાનું હતું; ઉત્તરપ્રદેશ નજીકની સૌનોલી બોર્ડર બંધ

નેપાળમાં Gen Z આંદોલન બાદ આજે 5 માર્ચના રોજ સામાન્ય ચૂંટણી યોજાઈ છે. નેપાળમાં ચૂંટણીના કારણે દેશની બોર્ડર બંધ કરી દેવામાં આવેલી છે. ભારત-નેપાળની સૌનોલી બોર્ડર બંધ કરી દેવામાં આવતા 60 જેટલા ગુજરાતીઓ હાલ ત્યાં ફસાયેલા છે. તેઓ નેપાળથી આજે ભારત આવવાના હતા, પરંતુ ચૂંટણીના કારણે બોર્ડર બંધ કરવામાં આવી છે જેના કારણે બોર્ડર પર તેઓ ફસાઈ ગયા છે. 24 જેટલા લોકોની આજે ગુજરાત(અમદાવાદ) આવવા માટેની ફ્લાઈટ છે, પરંતુ નેપાળની બોર્ડરથી ભારતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. જેના કારણે બોર્ડર નજીક હોટલમાં તેઓ ફસાઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે સાંજે 5 વાગ્યે જ્યારે ચૂંટણી પૂર્ણ થશે ત્યારે જ બોર્ડર ખોલવામાં આવશે એવું નેપાળના અધિકારીઓએ કહ્યું હોવાનું જાણવા મળ્યું છે. ચૂંટણીના કારણે ભારત-નેપાળ બોર્ડર પર 60 ગુજરાતી ફસાયાઅમદાવાદથી નેપાળ ગયેલા ભૂપેન્દ્ર શાહએ જણાવ્યું હતું કે નેપાળ ફરવા માટે ગયા હતા આજે ભારત પાછા આવવાના હતા, પરંતુ નેપાળમાં ચૂંટણીના કારણે બોર્ડર બંધ કરી દેવામાં આવી છે. ભારતના ઉત્તરપ્રદેશ પાસેની નેપાળને જોડતી સૌનોલી બોર્ડર પર અત્યારે 60થી વધારે ગુજરાતીઓ છે. અમદાવાદ-મહેસાણા સહિત અલગ અલગ શહેરોમાંથી નેપાળ આવેલા ગુજરાતીઓને આજે ગુજરાત પરત ફરવાનું છે, પરંતુ બોર્ડર બંધ છે જેના કારણે તેઓ ભારતમાં પ્રવેશ મેળવી શકતા નથી. બોર્ડર પાસે હોટલમાં રહેવા મજબૂરબોર્ડર બંધ હોવાના કારણે કોઈપણ નાગરિકને ભારતમાં જવા દેવામાં આવતા નથી. જેથી બોર્ડર પાસે આવેલી હોટલમાં અત્યારે તેમને રહેવું પડ્યું છે. આજે અનેક લોકોની ફ્લાઈટ પણ છે. ભારતથી ગુજરાત જવા માટેની ફ્લાઈટ હોવાથી અનેક વખત રજૂઆત કરી, પરંતુ નેપાળ તરફથી ભારતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. જેના કારણે લોકોને ખૂબ મોટું નુકસાન થશે. ભારતમાં પ્રવેશ મળે તેવી વ્યવસ્થા કરવા માગગુજરાતના અને અમદાવાદના લોકોએ અપીલ કરી છે કે નેપાળની બોર્ડરથી તેમને ભારતમાં પ્રવેશ મળે એ પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવે. જેનાથી તેઓ સમયસર પોતાના ઘરે પરત પહોંચી શકશે. આજે વતન પહોંચી શકશે નહીંગુજરાતી સહિત જે લોકો ભારતના અલગ અલગ શહેરો અને રાજ્યોમાં રહે છે એવા લોકો પણ સૌનોલી બોર્ડર ઉપર ફસાઈ ગયા છે. ભારત-નેપાળની બોર્ડર સીલ કરી દેવામાં આવી હોવાના કારણે આજે સવારથી જ જે લોકોને ફ્લાઇટ અને ટ્રેન મારફતે પોતાના વતનમાં ઘરે પરત પહોંચવાનું છે તેઓ આજે પહોંચી શકશે નહીં.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 9:17 am

સાકરિયા ગામે 500 કિલો ગુલાલ સાથે લઠમાર દાંડીયા:ધુળેટી પર્વની પરંપરાગત ઉજવણી ઢોલના તાલે

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાકરિયા ગામે ધુળેટી પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા અનુસાર, સમી સાંજે ગામ તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા હતા. ગામના લક્ષ્મીનારાયણ મંદિરના ચોકમાં આશરે 10 જેટલા ઢોલ-નગારાના ગર્જતા તાલે લઠમાર દાંડીયા રમવામાં આવ્યા હતા. ગ્રામજનોએ હાથમાં લાકડીઓ વીંઝીને આ પરંપરાગત રમતનો આનંદ માણ્યો હતો. આ દાંડીયા દરમિયાન આશરે 500 કિલો જેટલો ગુલાલ ગવૈયાઓ અને રમતા યુવાનો પર ઉડાડવામાં આવ્યો હતો. ઢોલના તાલ, લાકડીઓના અથડામણના અવાજ અને ગુલાલની છટાએ ગામમાં ઉત્સવમય માહોલ સર્જ્યો હતો. સાકરિયા ગામની આ વિશિષ્ટ પરંપરા વર્ષોથી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. આ લઠમાર દાંડીયાની ઉજવણી નિહાળવા અરવલ્લી ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ લોકપરંપરા માત્ર રંગોની ઉજવણી નથી, પરંતુ ગ્રામ્ય એકતા, પરંપરા અને સાંસ્કૃતિક વારસાનું પ્રતિક છે.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 9:10 am

દહીસર સોલાર પ્લાન્ટમાં 1.73 લાખની ચોરી:તસ્કરોએ કોપર કેબલ સહિતના સાધનોને નુકસાન પહોંચાડ્યું

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના દહીસર ગામે આવેલા પી.એલ.જી. ફોટો વોલ્ટેક સોલાર પ્લાન્ટમાં મોટી ચોરી થઈ છે. અજાણ્યા તસ્કરોએ પ્લાન્ટમાંથી 1.73 લાખ રૂપિયાની કિંમતના કોપર કેબલ સહિતના સાધનોની ચોરી કરી નુકસાન પહોંચાડ્યું છે. આ અંગે વારાહી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પ્લાન્ટના સાઇડ ઇન્ચાર્જ મહેંદ્રસિંહ ધીરૂભા વાઘેલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, 14 ફેબ્રુઆરી, 2026ના રાત્રિના 10 વાગ્યાથી 16 ફેબ્રુઆરીના સવારના 10 વાગ્યા દરમિયાન આ ઘટના બની હતી. તસ્કરોએ પ્લાન્ટના પાછળના ભાગે આવેલી લોખંડની જાળી તોડી અંદર પ્રવેશ કર્યો હતો. 16 ફેબ્રુઆરીના રોજ સવારે પ્લાન્ટમાં પાવર જનરેશન ઓછું જણાતા સ્ટાફ દ્વારા તપાસ કરાઈ હતી, ત્યારે ચોરીનો ખુલાસો થયો. તસ્કરો 4000 મીટર કોપર કેબલ (કિંમત રૂ. 1,52,000), 500 એમ.સી. ફોર કનેક્ટર (કિંમત રૂ. 10,000) અને 200 મીટર ઓન ડ્યુટ પાઇપ (કિંમત રૂ. 11,000) ચોરી ગયા હતા. આમ, કુલ રૂ. 1,73,000ની મિલકતની ચોરી અને નુકસાન થયું છે. કંપની દ્વારા આંતરિક તપાસ અને હેડ ઓફિસથી બિલ મંગાવવામાં સમય લાગતા પોલીસ ફરિયાદ મોડી નોંધાઈ હતી. વારાહી પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 303(2), 329(3), 324(5) અને 54 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર યોગેશકુમાર નાગજીભાઈ પટેલ આ કેસની તપાસ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 8:55 am

કાલુપુર બ્રિજ પાસે સેવ બનાવવાની 3 ફેક્ટરીઓમાં વિકરાળ આગ:જીવ બચાવવા ધાબા પરથી કૂદતા બે યુવકો ઈજાગ્રસ્ત, ફાયર બ્રિગેડે 5 કલાકે આગ કાબૂમાં લીધી

અમદાવાદ શહેરના કાલુપુર ઓવરબ્રિજ નજીક શહેરકોટડા પોલીસ સ્ટેશન સામે સરસપુર ઇંટવાડામાં સેવ બનાવવાની ત્રણ ફેક્ટરીઓમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ગોમતીપુર, પાંચકુવા અને નરોડા સહિતના ફાયર સ્ટેશનની 16 ગાડીઓ ઘટના સ્થળ ઉપર રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા એક કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી. ફેક્ટરીઓની પાછળના ભાગે મન્સૂરીની ચાલી આવેલી હતી જેમાં અનેક લોકો રહેતા હતા. જોકે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ચાલી બાજુથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો જેથી આગ ચાલીઓ સુધી પહોંચી નહોતી. જો કે, આગ લાગતા ઉપર સૂતેલા બે લોકો બચવા જતા નીચે કૂદ્યા હતા જેથી તેઓને વાગતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્રણ જેટલી ફેક્ટરીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુંમળતી માહિતી મુજબ, કાલુપુર ઓવરબ્રિજ પાસે સરસપુરના ઇંટવાડામાં ગળી સેવ બનાવવાનું કારખાનું આવેલું છે. મોડી રાત્રે 3:00 વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે, સેવ બનાવવાના કારખાનામાં આગ લાગવાની ઘટના બની છે. જેથી પાંચકુવા અને નરોડા ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળ ઉપર રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ત્યારે ત્રણ જેટલી ફેક્ટરીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખા કારખાનામાં આગ ફેલાઈ ગઈ હતી. કારખાનાની પાછળના ભાગે એક જ દીવાલે ચાલી આવેલી હતી જેમાં 50થી વધારે મકાનો હતા. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ચાલીના મકાનો બાજુથી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડે સતત પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધીઆગ ખૂબ જ વીકરાળ હતી જેના કારણે આસપાસની ઓરડીઓમાં ફેલાઈ જતા 108 એમ્બ્યુલન્સને પણ જાણ કરવામાં આવી હતી, તેમજ બીજી ફાયરબ્રિગેડ ગાડીઓ પણ બોલાવવામાં આવી હતી. મણિનગર અને થલતેજ ફાયર સ્ટેશનના અધિકારી અને કર્મચારી પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવી સવારે 7:30 વાગ્યે આગને સંપૂર્ણ પણે કાબૂમાં લઈ લેવામાં આવી હતી. આગથી બચવા બે યુવકો નીચે કૂદતાં ઈજાગ્રસ્ત થયાઆગ લાગી ત્યારે નજીકના મકાનમાં ધાબા ઉપર બે લોકો સુતા હતા જે બચવા માટે ત્યાંથી નીચે કૂદ્યા હતા. જેમાં તેમને ઈજા થતાં તરત જ 108માં સારવાર માટે હોસ્પિટલ મોકલ્યા હતા. સેવની ફેક્ટરીમાં રાત્રે આગ લાગવાની ઘટનામાં ચાલીના રહીશોમાં પણ ગભરાટનો અને ભયનો માહોલ જોવા મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 8:50 am

સુરેન્દ્રનગરમાં યોગ સાથે ધુળેટીની ઉજવણી:યોગ સંચાલકે કુદરતી રંગોથી હોળી રમવા માહિતી આપી

સુરેન્દ્રનગરમાં ઓમ સિદ્ધિ યોગ ક્લાસિસ દ્વારા યોગ અને ધુળેટીના પર્વનો અનોખો સમન્વય જોવા મળ્યો. જીજ્ઞાબેન શાહના નેતૃત્વ હેઠળ 20થી વધુ બહેનોએ સવારે સૂર્યનમસ્કાર અને પ્રાણાયામ કરીને ધુળેટીની ઉજવણી કરી. આ પ્રસંગે જીજ્ઞાબેને રસાયણમુક્ત કુદરતી રંગોથી ઉત્સવ ઉજવવાની સલાહ આપી હતી. તેમણે જણાવ્યું કે આ તહેવાર વસંતના આગમન સાથે પ્રકૃતિ સાથે જોડાવા અને ભાઈચારાનું પ્રતીક છે. યોગ સાથે ધુળેટી ઉજવણીના ભાગરૂપે, રંગ રમવાની શરૂઆત કરતા પહેલા 30 મિનિટ યોગાસન કરવાની ભલામણ કરવામાં આવી હતી. ખાસ કરીને સૂર્યનમસ્કાર, જે શરીરને ગરમી આપે છે, અને ભ્રામરી કે અનુલૉમ-વિલૉમ જેવા પ્રાણાયામ માનસિક શાંતિ વધારવામાં મદદરૂપ થાય છે. સિન્થેટીક કેમિકલ યુક્ત રંગોને બદલે કેસુડાના ફૂલ, હળદર અને ચંદન જેવા કુદરતી હર્બલ રંગોનો ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો, જે ત્વચા માટે સુરક્ષિત છે. શારીરિક કાળજીના ભાગરૂપે, રંગ રમતા પહેલા ચામડી પર તેલ કે મોઇશ્ચરાઇઝર લગાવવાની પણ સૂચના આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 8:15 am

વલસાડમાં ધુળેટી પર્વે રાજસ્થાની પરિવારે રાસની રમઝટ બોલાવી:રજવાડી ઠાઠ સાથે પરંપરાગત ગેર નૃત્યનું આયોજન કરાયું

વલસાડમાં વસતા રાજસ્થાની પરિવારોએ ધુળેટી પર્વની ભવ્ય ઉજવણી કરી હતી. દર વર્ષની પરંપરા મુજબ, આ વર્ષે પણ રાજસ્થાની પરિવારે ધુળેટી નિમિત્તે ભવ્ય 'રાસ' (ગેર નૃત્ય) અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ રાજસ્થાની ભાઈ-બહેનોએ વલસાડની ધરતી પર પોતાની રજવાડી સંસ્કૃતિને જીવંત કરી હતી. આ ઉત્સવમાં કલાકારોએ હાથમાં લાકડીઓ (ડંડા) લઈને ઢોલ અને ચંગના તાલે લોકનૃત્ય રજૂ કર્યું હતું. સફેદ કુર્તા-પાયજામા અને માથે કેસરિયા સાફા બાંધેલા યુવાનો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ કાર્યક્રમ વલસાડના વિવિધ વિસ્તારોમાં વસતા રાજસ્થાની સમાજના લોકો દ્વારા પોતાની સંસ્કૃતિને જાળવી રાખવાના ઉદ્દેશ્યથી આયોજિત કરાયો હતો. રાજસ્થાન પરિવારના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, તેઓ વર્ષોથી વલસાડમાં સ્થાયી થયા હોવા છતાં તેમની માતૃભૂમિની પરંપરા ભૂલ્યા નથી. ધુળેટીના આ પાવન પર્વે સૌ સાથે મળીને ઉત્સવ ઉજવે છે, જેથી નવી પેઢીને પણ તેમના વારસા અને સંસ્કૃતિ વિશે જાણકારી મળે. આ કાર્યક્રમમાં વલસાડના સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપીને ઉત્સવને માણ્યો હતો. આ પ્રસંગે પરંપરાગત 'ગેર' નૃત્ય, રજવાડી સાફા અને અબાલ-વૃદ્ધ સૌનો ભાઈચારો મુખ્ય આકર્ષણ રહ્યા હતા, જેણે હોળીની ઉજવણીમાં હર્ષોલ્લાસ ઉમેર્યો હતો.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 8:06 am

બોટાદ LCBએ દારૂ ભરેલો ટ્રક ઝડપ્યો:ગઢડાના ઉમરડા નજીકથી ₹52.71 લાખનો મુદ્દામાલ જપ્ત, અમરેલીના બે શખ્સોની ધરપકડ

બોટાદ LCB પોલીસે ગઢડા તાલુકાના મોટા ઉમરડા ગામ નજીકથી વિદેશી દારૂ ભરેલો એક ટ્રક ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રકમાંથી ₹27.40 લાખની કિંમતનો દારૂ અને ટ્રક સહિત કુલ ₹52.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે અમરેલીના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. બોટાદ LCB PI એમ. જી. જાડેજા અને PSI પટેલઅને તેમની ટીમને બાતમી મળી હતી કે, વિદેશી દારૂનો જથ્થો ભરેલો એક ટ્રક ભાવનગરથી અમરેલી તરફ જઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે મોટા ઉમરડા ગામ પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબનો ટ્રક આવતા પોલીસે તેને રોક્યો હતો અને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ટ્રકમાંથી ₹27.40 લાખની કિંમતની 8784 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને ટ્રક સહિત કુલ ₹52.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં પોલીસે અમરેલીના રાકેશ ભીમજી મોરી અને કિશન સુરેશ દવે નામના બે શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 8:01 am

પોરબંદર LCBનું ગાંધીનગરમાં ઓપરેશન:અપહરણ-ખંડણી અને કરોડોની સાયબર છેતરપિંડીમાં સંડોવણાયેલા બે સહઆરોપીને કલોલથી ઉઠાવ્યા

પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) દ્વારા વર્ષ ૨૦૨૫માં નોંધાયેલા અપહરણ, ખંડણી વસૂલાત અને કરોડો રૂપિયાની સાયબર છેતરપિંડીના ગંભીર ગુનામાં ફરાર રહેલા બે સહઆરોપીઓને ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં પાર્થ ઉર્ફે લાલો મહેન્દ્રભાઈ સોનગેલા (ઉંમર ૨૬, રહે. ભાણવડ, જી. દેવભૂમિ દ્વારકા) અને રાજુ બાલુભાઈ પરમાર (ઉંમર ૩૫, રહે. છાંયા નવાપરા, પોરબંદર)નો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ૭૦ લાખ રૂપિયાની ખંડણી વસૂલવા પૂર્વ આયોજિત કાવતરું ઘડીને તા. ૧૧/૦૪/૨૦૨૫ની રાત્રે ચારથી પાંચ અજાણ્યા આરોપીઓ ફરિયાદીના ઘરે ઘૂસી ગયા હતા. તેમણે ફરિયાદી, તેમના જમાઈ ભાનુભાઈ અને સાળી ગીગીબેનનું અપહરણ કરી કાળા રંગની કારમાં લઈ ગયા હતા. તેમને એક આરોપીના બંગલે ગેરકાયદેસર બંધક બનાવી, ફરિયાદીની દીકરી સાથે વીડિયો કોલ પર વાત કરાવી નાણાં આપવા દબાણ કર્યું હતું. પાંચ દિવસ બાદ અન્ય આરોપી દ્વારા ફરિયાદીની દીકરીના દીકરા રણજીતનું રાણાવાવ ખાતેથી અપહરણ કરી તેને પણ તે જ સ્થળે બંધક બનાવવામાં આવ્યો હતો. આરોપીઓએ મારપીટ, ઢીકાપાટુ અને આડકતરી રીતે જાનથી મારી નાખવાની ધમકીઓ આપી, જમીન, પ્લોટ, દાગીના સહિતની મિલકત હસ્તાંતર કરવા દબાણ કર્યું હતું. ફરિયાદી પાસેથી ૧૧ કોરા ચેક પર બળજબરીપૂર્વક સહીઓ કરાવી હતી. દોઢ તોલાનો સોનાનો બેરખો અને આશરે પોણા તોલાનો ચેઇન મળી કુલ આશરે દોઢ લાખ રૂપિયાના દાગીના પણ કબજે કરાયા હતા. ફરિયાદી અને તેમના જમાઈને કુલ ૧૭ દિવસ તથા સગીર રણજીતને ૧૨ દિવસ સુધી ગેરકાયદેસર રીતે બંધક બનાવી તા. ૨૭/૦૪/૨૦૨૫ સુધી ૭૦ લાખ રૂપિયા વસૂલવાનો પ્રયાસ કરાયો હતો. આ સમગ્ર પ્રકરણ સાથે સંકળાયેલો બીજો ગુનો પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. A-11218019250002/2025 હેઠળ તા. ૧૪/૦૫/૨૦૨૫ના રોજ નોંધાયો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું કે હિરલબા જાડેજા અને તેમના સાગરિતોએ પૂર્વ આયોજનથી કોટક મહિન્દ્રા બેંકના કર્મચારીઓને નિવાસસ્થાને બોલાવી પોતાના ઓળખીતા અને અજાણ્યા લોકોના પ્રલોભનથી બેંક ખાતા ખોલાવ્યા હતા. બાદમાં દેશના વિવિધ રાજ્યોમાં સાયબર ફ્રોડના ભોગ બનેલા લોકો પાસેથી છેતરપિંડીથી મેળવેલા નાણાં આ ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી ગેરરીતે ઉપાડી લેવામાં આવ્યા હતા. જયેશ ઢાંકેચા અને કમલેશ દાસાના ખાતાનો ખોટો ઉપયોગ કરીને સહી કરેલા ચેક મેળવી રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા, જ્યારે પાર્થ સોનગેલા, અજય ચૌહાણ અને મોહન વાજાના ખાતામાંથી તેઓએ જાતે જ નાણાં ટ્રાન્સફર કરી સગેવગે કર્યા હોવાનું બહાર આવ્યું છે. ગુનામાં સંડોવાયેલા પાર્થ સોનગેલા અને રાજુ પરમાર લાલશાહીથી ફરાર હતા. વિશ્વસનીય માહિતીના આધારે એલ.સી.બી.ની ટીમને ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે મોકલવામાં આવી હતી, જ્યાંથી બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 8:00 am

હળવદમાં કેનાલમાં ડૂબી જવાથી 40 વર્ષીય યુવાનનું મોત:મોરબીમાં અન્ય યુવાન લાપતા, ફાયર ટીમની શોધખોળ ચાલુ

હળવદ અને મોરબી જિલ્લામાં કેનાલમાં ડૂબી જવાની બે ઘટનાઓ સામે આવી છે. હળવદ નજીક નર્મદા કેનાલમાં 40 વર્ષીય યુવાનનું ડૂબી જવાથી મોત થયું છે, જ્યારે મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કેનાલમાં ડૂબી ગયેલા અન્ય એક યુવાનનો મોડી સાંજ સુધી પત્તો લાગ્યો નથી. હળવદ શહેરમાં વનવગડો હોટલ પાછળથી પસાર થતી નર્મદા કેનાલમાં કણબીપરાના રહેવાસી જયસુખભાઈ દિલાભાઈ પટેલ (ઉંમર 40) ન્હાવા ગયા હતા. કોઈ અગમ્ય કારણોસર તેઓ કેનાલમાં ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને થતા, ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે શોધખોળ હાથ ધરી હતી અને યુવાનના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો. મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હળવદ તાલુકા પોલીસે આ બનાવની નોંધ લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. તેવી જ રીતે, મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં એક રાજસ્થાની યુવાન ડૂબી ગયો હતો. આ બનાવની જાણ થતા ફાયર વિભાગની ટીમ ત્યાં પણ પહોંચી હતી અને યુવાનને શોધવાની કામગીરી શરૂ કરી હતી. જોકે, મોડી સાંજ સુધી ડૂબી ગયેલા યુવાનનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ફાયર વિભાગના અધિકારી જયેશ ડાકીએ જણાવ્યું હતું કે, આવતીકાલે સવારથી ફાયરની ટીમ દ્વારા ફરીથી શોધખોળની કામગીરી હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 7:58 am

માધવપુર ઘેડમાં ભગવાન માધવરાયજીના વિવાહનું આયોજન:ફુલડોલ ઉત્સવ અને લગ્નોત્સવની ધૂમ

માધવપુર ઘેડમાં ભગવાન માધવરાયજી અને રુકમણીજીના વિવાહનો ઉત્સવ શરૂ થઈ ગયો છે. માધવપુરનો માંડવો અને જાદવકુળની જાન, પરણે રાણી રુકમણી અને વર દુલ્હો ભગવાન પંક્તિઓ સાથે આ ભવ્ય લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રુકમણી મંદિરના મહંત શ્રી સુધીરભાઈ નિમાવતે આ વર્ષના કાર્યક્રમો વિશે માહિતી આપી હતી. આ પરંપરાગત ઉત્સવમાં, માધવરાયજીના મંદિરેથી ભગવાન ચોરી મંડપે પધારે છે, જ્યાં ફુલડોલ ઉત્સવ મનાવવામાં આવે છે. ત્યારબાદ ભગવાન રુકમણીજીના સાનિધ્યમાં બિરાજમાન થાય છે. જગતગુરુ રામાનુજાચાર્ય અને વલ્લભાચાર્યની સાક્ષીમાં વિધિવત રીતે ૨૫ વાનાના લગ્ન લખવામાં આવે છે. ચૈત્ર સુદ નોમથી મેળાનો વિધિવત પ્રારંભ થાય છે અને મંદિર પર ધજા ચડાવવામાં આવે છે, જે ઉત્સવના પ્રારંભનું સૂચન કરે છે. નોમ, દશમ અને અગિયારસ એમ ત્રણ દિવસ સુધી ભગવાનના ભવ્ય ભુલેકા કાઢવામાં આવે છે. બારસના દિવસે ગોધુલી સમયે ભગવાનની જાન મધુવનમાં પ્રવેશ કરે છે, જે લગ્ન સમારોહનો એક મહત્વપૂર્ણ ભાગ છે. લગ્ન વિધિ દરમિયાન, મંત્રોચ્ચાર સાથે મંડપમાં કન્યા પધરાવો સાવધાનના નાદ સાથે રુકમણીજીને પાલખીમાં બિરાજમાન કરી મંડપમાં લાવવામાં આવે છે. અહીં ભગવાન માધવરાયજી અને રુકમણીજી શાસ્ત્રોક્ત વિધિ મુજબ સપ્તપદીના સાત ફેરા ફરે છે. આ ભવ્ય લગ્નોત્સવમાં ભાગ લેવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર માધવપુર હાલ ભક્તિમય માહોલમાં ગરકાવ થયેલું છે, જ્યાં પરંપરા અને શ્રદ્ધાનો સંગમ જોવા મળે છે.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 7:56 am

'દેવદાસ' ફેમ વિજય કૃષ્ણાનું 81 વર્ષની વયે નિધન, શાહરૂખ ખાનના ઓનસ્ક્રીન પિતાની ભજવી હતી ભૂમિકા

Devdas Actor Vijay Krishna Passes Away : બોલિવૂડના પીઢ અભિનેતા અને સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'દેવદાસ'માં શાહરૂખ ખાનના પિતાની ભૂમિકા ભજવનાર વિજય કૃષ્ણાનું 81 વર્ષની વયે નિધન થયું છે. આ દુઃખદ સમાચારથી ફિલ્મ જગત અને થિયેટર કલાકારોમાં શોકની લહેર છવાઈ ગઈ છે.

ગુજરાત સમાચાર 5 Mar 2026 7:37 am

પર્લ હાર્બર:ઇતિહાસ બદલવા માટે એક ક્ષણ લાગે છે, જીવન બદલવા માટે પ્રેમની જરૂર પડે છે

કહે છે કે ઇતિહાસનું સૌથી પહેલું દસ્તાવેજીકૃત યુદ્ધ મિસ્રના (આજનું ઇજિપ્ત) ફેરો થુટમોસ 3 એ કાનાન વિસ્તારમાં બળવો કરનારા રાજ્યો સામે લડ્યું હતું. ઇ.સ.પૂર્વે 1457 માં લડાયેલા આ યુદ્ધની વિગતવાર નોંધ પ્રાચીન મંદિરની દિવાલો પર લખાઇ હતી. જેના કારણે તેને ઇતિહાસનું સૌથી પહેલું દસ્તાવેજીકૃત યુદ્ધ માનવામાં આવે છે. બેટલ ઓફ મેગિડો તરીકે ઓળખાતા આ યુદ્ધ વિશે વક્રોક્તિ એ છે કે ત્યારનો કાનાન વિસ્તાર એ આજનું ઇઝરાયેલ-પેલેસ્ટાઇન છે! અને આ લખાઇ રહ્યું છે ત્યારે પણ સદીઓ જૂના ઇઝરાયેલ-પેલેસ્ટાઇન સંઘર્ષની વચ્ચે ઇરાનના સુપ્રીમ લીડર અલી ખામેની અમેરિકા-ઇઝરાયલે કરેલા મિસાઇલ હુમલામાં માર્યા ગયા છે. આજે તેમના મૃત્યુ સાથે ઇરાન અને મિડલ ઇસ્ટમાં મોટી રાજકીય સ્થિતિ બદલાશે અને તેની અસર વિશ્વ સ્તરે પડશે. ફરી સિલસિલો શરુ થશે તાજેતરમાં અને ભવિષ્યમાં થનાર યુદ્ધો અને વિનાશનો! આપણે ઇતિહાસ પાસેથી કંઇ શીખતા નથીબેટલ ઓફ મેગિડો, પાણીપતનું યુદ્ધ, અમેરિકન સિવિલ વૉર, શીત યુદ્ધ અને પ્રથમ, દ્વિતીય વિશ્વયુદ્ધ જેવા ઇતિહાસના જાણીતા યુદ્ધો અને એમાં થયેલા સંહાર એ વાતની સાબિતી છે કે આપણે ઇતિહાસ પાસેથી ખરેખર કંઇ શીખતાં નથી હોતાં. હોલિવૂડ ફિલ્મ પર્લ હાર્બરે અનોખી છાપ છોડીઅને કરુણતા એ વાતની છે કે ટેક્નોલોજીના આ યુગમાં મનુષ્ય ટીવીના પડદા દ્વારા વિશ્વના કોઇપણ ખૂણે ચાલતું યુદ્ધ નજર સામે જોઇ શકે છે. ઉપરાંત ડોક્યુમેન્ટરી કે વોર ફિલ્મ્સ થકી પણ યુદ્ધની ભયાનકતા, વિનાશ, કરૂણતા કે વિવશતા જોઇ શકાય છે અને કેટલીક ફિલ્મો યુદ્ધમાં થનાર સંહાર જ નહીં પણ તેની પૃષ્ઠભૂમિ પર રચાતી, હિંમત, બલિદાન, મિત્રતા, માનવતા અને પ્રેમ જેવી ભાવનાઓને પણ રજૂ કરે છે. ડૉ. કોટનિસ કી અમર કહાની, બોર્ડર જેવી હિન્દી યુદ્ધ ફિલ્મો અને સેવિંગ પ્રાઇવેટ રયાન, હેકસો રીજ, ડન્કિર્ક, શિન્ડલર્સ લિસ્ટ જેવી હોલિવૂડ ફિલ્મો આ બધા ભાવોને આબાદ રજૂ કરે છે. એમાંય સાચા યુદ્ધ સાથે જોડાયેલી કાલ્પનિક પ્રેમકથાની 2001 માં આવેલી ફિલ્મ પર્લ હાર્બર એક અનોખી અમીટ છાપ છોડી જાય છે. પર્લ હાર્બર એક હોલિવૂડ ફિલ્મ છે. જે 7 ડિસેમ્બર, 1941ના રોજ અમેરિકાના હવાઈ ટાપુ સ્થિત અમેરિકન નૌકાદળના મથક પર થયેલા જાપાની હુમલા પર આધારિત છે. આ હુમલો અમેરિકાના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ક્ષણ હતી. જેના કારણે અમેરિકા બીજા વિશ્વયુદ્ધમાં સક્રિય રીતે જોડાયું. બાળપણથી પાયલટ બનવાનું સપનુંમાઇકલ બે દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ બે બાળમિત્રો રેફ મેકૉલે (Ben Affleck) અને ડેની વોકર (Josh Hartnett) ની આસપાસ ફરે છે. બંને અમેરિકન વાયુસેનામાં પાઇલટ બને છે. તેઓ બાળપણથી જ પાયલટ બનવાનું સ્વપ્ન જુએ છે. એ સમયે 140 મિલિયન ડોલરમાં ફિલ્મ બની હતીરેફ, એક નર્સ એવેલિન (Kate Beckinsale) સાથે પ્રેમમાં પડે છે. યુદ્ધ દરમિયાન પરિસ્થિતિઓ બદલાય છે અને રેફ બ્રિટનમાં લડવા જાય છે. એક દુર્ઘટના બાદ તેને મૃત માનવામાં આવે છે. આ દરમિયાન ડેની અને એવેલિન નજીક આવે છે પછી રેફ જીવિત પરત આવે છે અને તેમની વચ્ચે ભાવનાત્મક તણાવ ઊભો થાય છે. દરમિયાનમાં આ પ્રેમકથા વચ્ચે જ જાપાન પર્લ હાર્બર પર ભયાનક હુમલો કરે છે અને ત્યાર પછી જે ઘટનાઓ ઘટે છે એની કલ્પના અને વાસ્તવિકતાના મિશ્રણ જેવી કહાની એટલે એ વખતે 140 મિલિયન ડોલરમાં બનેલી મોંઘી ફિલ્મ પર્લ હાર્બર. પર્લ હાર્બરને સિનેમા રસિયાઓ અને વિવેચકો આજે પણ વિશ્વ ઇતિહાસની એક અતિ મહત્વપૂર્ણ ઘટનાને રોમાંચક અને ભાવનાત્મક રીતે પડદા પર આબાદ ઝીલનાર ફિલ્મ તરીકે યાદ કરે છે. ફરીથી માનવ જાત યુદ્ધના ઉંબરે આવીને ઊભી રહી ગઇપર્લ હાર્બર જેવું યુદ્ધ જેના પછી જાપાન-અમેરિકાના સંબંધો, અમેરિકાએ ત્યાર પછી જાપાનના હિરોશિમા અને નાગાસાકી શહેરો પર કરેલો વિશ્વનો સૌપ્રથમ પરમાણુ હુમલો અને આ બધા પછી ભયાનક વિનાશ પછી ફિનિક્સ પક્ષીની જેમ પાછું ઊભું થયેલું જાપાન અને આગળ ઉલ્લેખ કર્યો એ વિશ્વના જાણીતાં અજાણ્યા યુદ્ધો પછી પણ માનવજાત ફરી ફરીને અત્યારે વિશ્વમાં ચાલતા રશિયા-યુક્રેન, ઇઝરાયેલ-ઇરાન અને નાના મોટા આંતરિક યુદ્ધોના ઉંબરે એક કે બીજા કારણોસર આવીને ઉભી છે! કેટલાક યુદ્ધો અને દેશો વચ્ચેના સંઘર્ષો સદીઓથી ચાલે છે અને કરુણતા એ વાતની છે કે પૂર્વજો એ કોઇક કારણોસર શરુ કરેલા આ સંઘર્ષની કિંમત આ અસલી કારણોથી અજાણી એવી આજની પેઢી એમના લોહીથી ચૂકવી રહી છે. જ્યારે જ્યારે એમ લાગે કે માનવજાત શાંતિ અને સૌહાર્દ તરફ બે ડગલાં આગળ વધી છે ત્યાં રાજકારણ, ધર્મ, ટેક્નોલોજી, વિસ્તારવાદી નીતિ, તેલ, ખનીજની રાજનીતિ દુનિયાના શાંતિના શમણાંને ચાર ડગલાં પાછળ ધકેલે છે. કોઇપણ સમસ્યાનો ઉકેલ યુદ્ધ નથીઇતિહાસ સાક્ષી રહ્યો છે કે બે મનુષ્ય વચ્ચે, જાતિઓ વચ્ચે કે દેશો વચ્ચેના પ્રશ્નોનું નિરાકરણ વાટાઘાટથી આવે કે ના આવે પણ યુદ્ધથી તો કોઇ દિવસ નથી આવ્યું. કેલ્વિન અને હોબ્સ જેવી અતિ લોકપ્રિય કાર્ટૂન સિરીઝમાં બિલ વોટરસન એક અત્યંત મજબૂત સવાલ એના પાત્ર દ્વારા કરે છે જે મગજ અને દિલને હચમચાવી નાખે છે: પપ્પા, એકબીજાને મારી નાખતા સૈનિકો દુનિયાની સમસ્યાઓ કેવી રીતે હલ કરે છે? વિશ્વશાંતિનું શમણું જોનાર દરેક દેશ અને મનુષ્યએ ઉપરનો સવાલ યાદ રાખવો જોઇએ એ સમય હવે નહીં આવે તો સવાલ અને જવાબો કરનાર કોઇ આ પૃથ્વી પર નહીં જ બચે!

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 6:36 am

અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે મેગા ટ્રાફિક રિલીફ પ્લાન:18 ઓવરબ્રિજ-અંડરપાસ અને 5 એલિવેટેડ કોરિડોર બનશે, ફિઝીબિલિટી સર્વે અને ડિઝાઇન તૈયાર

આગામી વર્ષ 2030માં અમદાવાદમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સના ભાગરૂપે શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે જુદા-જુદા જંકશન પર ઓવર બ્રિજ અને અંડરપાસ બનાવવા, મલ્ટી જંકશન પર ડબલ હાઈટ થ્રુ એલિવેટેડ કોરીડોર જેવા ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપ કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી ચાર વર્ષમાં 18થી વધુ ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવા માટે ફિઝિબિલિટી સર્વે અને ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. શહેરના 35 જેટલા જંકશન પર સર્વે કરવામાં આવ્યો છે. કોમનવેલ્થ સુધીમાં શહેરમાં નવા ઓવર બ્રિજ અને અંડરપાસ બનવાથી ટ્રાફિકની સમસ્યા દૂર થશે. જુદા-જુદા ટ્રાફિક જંકશન પર હયાત ટ્રાફિકનો સર્વે શહેરની વધતાં જતાં વાહનોની સંખ્યાની સાથે ટ્રાફિકની સમસ્યા પણ વધી રહી છે. જેથી, ટ્રાફિકની સમસ્યા હળવી કરવા શહેરનાં મુખ્ય રસ્તાઓ પરના જુદા-જુદા ટ્રાફિક જંકશન પર હયાત ટ્રાફિકનો સર્વે કરી તેના ફાઇનલ રિપોર્ટ મુજબ સૂચવવામાં આવેલ એલાઈમેન્ટમાં ફલાયઓવર બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા શહેરમાં આવેલ જુદા-જુદા 35 જંકશનો પર મેડ સેપરેટર, ફ્લાયઓવર, એલીવેટેડ કોરીડોર અથવા અંડરપાસ બનાવવા બ્રિજની જરૂરીયાત અંગે ફિઝિબિલીટી ચકાસણી માટે જરૂરી ટ્રાફિક સર્વે કરવા માટે સેન્ટ્રલ રોડ રીસર્ચ ઈન્સટીટયુટ (CRRI)ની નિમણૂંક કરી ટ્રાફિક સર્વે કરાવવામાં આવ્યો છે. ભવિષ્યના ટ્રાફિક ગ્રોથને ધ્યાને રાખી GPR સર્વે કરવામાં આવશેશહેરમાં 25 જેટલા જંક્શનો પર સર્વે થઈ ચૂક્યો છે. જેમાં સેન્ટ્રલ રોડ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CRRI) દ્વારા પ્રર્વતમાન ટ્રાફિક PCU તથા ભવિષ્યના ટ્રાફિક ગ્રોથ મુજબ બ્રિજ બનાવવા અંગે પ્રાયોરીટી નકકી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં આગામી વર્ષ 2030માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સના આયોજનના ભાગરૂપે સરળ પરિવહન માટે ઈન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવાનું હોવાથી બ્રિજની ડિઝાઇન કરવામાં આવી રહી છે. ઝડપથી બ્રિજ બને તેના માટે બ્રિજ બનાવવાની કામગીરી પહેલા અન્ડરગ્રાઉન્ડ યુટીલિટી સર્વે કરી તેને પ્રોપર લોકેટ કરી જો શક્ય હોય તો નાની લાઇન શીફટીંગ કરાવા અન્યથા મેઝર લાઈનો શિફટ ન થઈ શકે તેમ હોય તો તે મુજબ બ્રિજના ફાઉન્ડેશનની ડિઝાઈન તૈયાર કરાવી કામગીરી માટે અને બ્રિજની કામગીરી શરૂ કર્યા બાદ અન્ડરગ્રાઉન્ડ યુટીલિટીના કારણે વિલંબ થાય ન થાય તેના માટે ગ્રાઉન્ડ પેનીટ્રેશન રીપોર્ટ (GPR) સર્વે કરવામાં આવશે. 18 જંકશન પર હાલમાં ડિઝાઇનની કામગીરી શરુ ભવિષ્યમાં તૈયાર કરવાના થતા બ્રિજો માટે ગ્રાઉન્ડ પેનિટ્રેશન રીપોર્ટ (GPR) સર્વેની કામગીરી માટે 16 અને 19 પ્રતિ ચોરસ મીટર સર્વે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચૂકવવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 18 જેટલા જંકશનનો પર હાલમાં ફિઝીબિલિટી સર્વે અને ડિઝાઇન તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે, જેમાં આ GPR સર્વે પણ થશે. 5 એલિવેટેડ કોરિડોર તૈયાર કરાશે18માંથી પાંચ જેટલા મલ્ટી લેવલ ડબલ હાઈટેડ એલીવેટેડ કોરિડોર બનાવવામાં આવશે, જેમાં ઓઢવ ફાયર સ્ટેશનથી લઈને ઈન્દોર હાઈ-વે સુધી, બોપલ વકીલ સાહેબ બ્રિજથી ઘુમા, કાલુપુર જંકશનથી પ્રેમ દરવાજા થઈ દરિયાપુર દરવાજાથી દિલ્હી દરવાજા જંકશન થઈને શાહપુર મેટ્રો સ્ટેશન સુધી, નમસ્તે સર્કલથી દરિયાપુર દરવાજા તરફ, નહેરુનગરથી શિવરંજની થઈ ઇસ્કોન સુધી અને સરખેજ ક્રોસિંગથી સાણંદ ચોકડી સુધી એમ પાંચ જગ્યાએ એલિવેટેડ કોરિડોર અને હયાત બ્રિજ ઉપરના ડબલ હાઈટેડ એલીવેટેડ કોરિડોર બનશે.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 6:00 am

કોણ છે T-20 વર્લ્ડકપમાં 'ઢોલીડા...' પર સ્ટેડિયમ ગજવતી સુરતી ગર્લ?:કિંગ ખાન પર ક્રશ ને ધોનીની ફેન, GTની પ્રાઇવેટ પાર્ટીમાં મચાવી ધૂમ, ક્યો ક્રિકેટર લાગે છે હોટ?

ક્રિકેટના મેદાનમાં જ્યારે સિક્સર્સની રમઝટ બોલે છે, ત્યારે પ્રેક્ષકોને ઝૂમવા પર મજબૂર કરતું સંગીત કોણ વગાડે છે? મોટાભાગના લોકો એમ માનતા હોય છે કે આ કામ માત્ર પુરુષોનું છે. પરંતુ, આ ધારણાને સુરતની ડીજે કિઆરા(ખુશબુ વાધવાણી)એ ખોટી સાબિત કરી છે. હાલમાં ચાલી રહેલા ICC વર્લ્ડ કપની એકમાત્ર ફીમેલ ડીજે છે. દિવ્ય ભાસ્કરે હાલ ચાલી રહેલા ટી-20 વર્લ્ડકપમાં ધૂમ મચાવનારી DJ કિઆરાએ સાથે વાતચીત કરી હતી. જેમાં તેણીએ કરિયરથી લઈ ક્રશ સુધીના સિક્રેટ્સ ખોલ્યા હતા. અત્યાર સુધીમાં તેણી મેન્સ-વિમેન્સ T-20 વર્લ્ડ કપથી લઈ ગુજરાત ટાઇટન્સ માટે પર્ફોર્મ કરી ચૂકી છે. અભ્યાસમાંથી બ્રેક ને મ્યુઝિક ક્ષેત્રે એન્ટ્રીનાનપણથી જ હું નવી વસ્તુઓ શીખવામાં ખૂબ સક્રિય હતી. ભલે તે ક્લાસિકલ સિંગિંગ (શાસ્ત્રીય ગાયન) હોય, ડાન્સ, કથક, ભરતનાટ્યમ કે વોકલ્સ અને હાર્મોનિયમ હોય, મેં બધું જ શીખ્યું છે. આ ઉપરાંત સ્વિમિંગ, સ્કેટિંગ અને બાસ્કેટબોલ જેવી પ્રવૃત્તિઓમાં પણ મને રસ હતો. કોલેજના પ્રથમ વર્ષમાં મેં અભ્યાસમાંથી થોડો બ્રેક લીધો અને કંઈક નવું અને એન્ટરટેઇનિંગ કરવાનું વિચાર્યું. મેં મ્યુઝિક પ્રોડક્શન (ઈલેક્ટ્રોનિકલી સંગીત બનાવવું) શીખવાનું શરૂ કર્યું. ત્યાં જ બાજુના કેબિનમાં ડીજેઇંગ શીખવવામાં આવતું હતું. મેં કોઈ ખાસ ઇરાદા વગર જ તે શીખવાનું શરૂ કર્યું કારણ કે હું પહેલાથી જ એક આર્ટિસ્ટ હતી. મને પેઇન્ટિંગ તથા સ્કલ્પચર (મૂર્તિ કળા)માં પણ ખૂબ રસ હતો. 'અચાનક જ પાર્ટીમાં ગઈ ને સૌને ડોલાવી દીધા'હું પહેલા આર્ટ ટ્યુટર હતી. ડીજે બનતા પહેલા આર્ટ્સમાં ખૂબ સારું કરી રહી હતી, એટલે મારો કોઈ એવો ઈરાદો નહોતો કે હું આ શીખીને મારો વ્યવસાય બદલી નાંખીશ. પણ મેં શીખવાનું શરૂ કર્યું. એક વર્ષ સ્ટુડિયોમાં મારા સર અને બીજા વિદ્યાર્થીઓ સાથે વિતાવ્યું. આ મ્યુઝિક કલ્ચર મને ખૂબ જ આકર્ષક લાગ્યું. એક વર્ષ પછી, હું મારા સર સાથે એક પાર્ટીમાં ગઈ, જ્યાં તેઓ પર્ફોર્મ કરી રહ્યા હતા. અચાનક તેમણે મને પૂછ્યું કે શું તારે પર્ફોર્મ કરવું છે અને શું હું પાર્ટી કંટ્રોલ કરી શકું? તે ખૂબ જ અચાનક હતું. મેં મારી પેનડ્રાઈવ લગાવી અને પર્ફોર્મ કરવાનું શરૂ કર્યું. તે પાંચમા-છઠ્ઠા ધોરણના બાળકોની બર્થ ડે પાર્ટી હતી. મેં 30-40 મિનિટ ડીજે વગાડ્યું. તે દિવસે ઘરે આવીને મેં મારી મમ્મીને કહ્યું કે મારે આજીવન આ જ કરવું છે. મારે ડીજે બનવું છે અને ત્યાંથી જ મારી સંગીત સફર શરૂ થઈ. 'દરેકને મારી આંખોમાં એ પેશન દેખાતું હતું'જ્યારે મેં ઘરે આવીને જણાવ્યું કે મારે આને હવે માત્ર શોખ તરીકે નહીં પણ વ્યવસાય તરીકે અપનાવવું છે અને આમાંથી જ કમાણી કરવી છે, ત્યારે મારા ઘરે કોઈએ પણ મને પ્રશ્ન ન કર્યો નહોતો મારા મમ્મી, પપ્પા, ભાઈ કે ભાભી, કોઈએ પણ નહીં. દરેકને મારી આંખોમાં એ પેશન દેખાતું હતું. મારો પરિવાર ખૂબ જ સપોર્ટિવ રહ્યો છે. આજની તારીખ સુધી પણ કંઈ પણ હોય, ક્યાંય પણ ઈવેન્ટ હોય, હું વર્ષના 365 દિવસમાંથી 250 દિવસ ટ્રાવેલ કરતી હોઉં છું, પણ કોઈ પ્રશ્ન કે કોઈ શંકા કે કોઈ રોકટોક મારા પરિવારના સભ્યોએ ક્યારેય નથી કરી. કદાચ એ જ એક કારણ છે કે આજે હું જ્યાં છું ત્યાં મારા મમ્મી-પપ્પા અને મારા પરિવારને લીધે જ છું. 'આસપાસના લોકોએ બહુ પ્રશ્નો કર્યા હતા'મેં જ્યારે ગ્રેજ્યુએશનના બીજા વર્ષમાં આ કામ શરૂ કર્યું હતું, ત્યારે ઘણા બધા મિત્રો અને આસપાસના લોકોએ બહુ પ્રશ્નો કર્યા હતા. કેટલાક લોકોએ તો ચિંતા વ્યક્ત કરતા એમ પણ પૂછ્યું હતું કે, 'તું આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ્સમાં આટલું સારું કરી રહી છે, તો તારે પ્રોફેશન કેમ બદલવો છે? 6 વર્ષ તે આર્ટ્સ કર્યું તો હવે કેમ બદલવું છે?' આવા પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા. 'મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના લોકો સ્વીકારી શકતા નહોતા'આ સિવાય, જ્યારે મેં મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી ત્યારે જે લોકો પહેલેથી ત્યાં હતા, એમને પણ ઘણી શંકાઓ હતી. તેઓ સ્વીકારી નહોતા શકતા કે કોઈ નવું વ્યક્તિ આવ્યું છે. થોડું નકારાત્મક વલણ પણ હતું. પણ ત્યાર પછી બધાએ ઘણો સપોર્ટ પણ કર્યો. એટલે શંકાઓ તો ઘણી હતી અને લોકોને સમજાવવામાં ઘણો સંઘર્ષ પણ રહ્યો હતો, કારણ કે 2016-17ના સમયમાં આટલા આર્ટિસ્ટ નહોતા. 'મને કોઈને સમજાવવાની કે દલીલ કરવાની જરૂર નહોતી લાગી'પહેલાના સમયમાં ડીજે વિશે સામાન્ય લોકોને એટલી બધી જાણકારી નહોતી. લોકોમાં ડીજે માટે અત્યાર જેવો ક્રેઝ નહોતો. ખાસ કરીને ગુજરાતમાં, જ્યાં અમે રહીએ છીએ, ત્યાં ક્લબ્સનું પ્રમાણ ઓછું હતું. તેથી સામાન્ય લોકોને ખબર જ નહોતી કે ક્લબમાં ડીજે શું કામ કરે છે. ઘણા લોકો મને પૂછતા કે 'તમે ગાવ છો?', 'તમે ઢોલ વગાડો છો?', 'તમે શું વગાડો છો?'. તેમને ડીજેનો કન્સેપ્ટ સમજાતો નહોતો. પણ મેં ક્યારેય કોઈને વળતો જવાબ નથી આપ્યો. મને એમ હતું કે મારું કામ જ બોલશે. મને કોઈને સમજાવવાની કે દલીલ કરવાની જરૂર નહોતી લાગી. 'જ્યારે વૃદ્ધાએ પૂછ્યું બેન્ડ-વાજા વગાડે છે?'ક્યારેક તો હસવું પણ આવતું, જ્યારે કોઈ વૃદ્ધ માજી મને બોલાવીને પૂછતા કે 'બેટા તું શું કરે છે? તું ગીત ગાય છે? કે પછી બેન્ડ-વાજા વગાડે છે?'. હવે જેમને ક્લબ કે મ્યુઝિક કલ્ચર વિશે ખબર જ નથી, તેમને સમજાવવું નકામું હતું. પરંતુ આજે મને એ વાતની ખુશી છે કે આખા દેશમાં મ્યુઝિક કલ્ચર ખૂબ આગળ વધ્યું છે. હવે દરેકને ખબર છે કે ડીજે શું છે અને અમારું કામ શું છે. આજે મને આ બદલાવ જોઈને ઘણો આનંદ થાય છે. ઇન્સ્ટા પર પ્રોફાઇલ જોઈ ને ડીજેની દુનિયમાં એન્ટ્રી થઈહું કહીશ કે હું ઘણા શરૂઆતના સમયથી, જ્યારે મેં મારો ડીજેઈંગ કરિયર શરૂ કરી, ત્યારથી જ હું ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ હતી. તે સમયે મારો એવો કોઈ ઇરાદો નહોતો કે મારે આમાંથી બિઝનેસ બનાવવો છે, મારે બસ મારું કામ બતાવવું હતું. અને હું તેમાં ખૂબ જ સતત પ્રયાસ કરતી હતી. 2016-17થી જ્યારથી મેં પેજ એક્ટિવ કર્યું છે. ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીના, જે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની આ ઇવેન્ટ્સ મેનેજ કરે છે, જે ક્રિકેટ ઇવેન્ટ્સ કરાવે છે, તેમાંથી એક સભ્યએ મારી પ્રોફાઇલ જોઈ. તેમણે બીજા ઘણા લોકોની પ્રોફાઇલ પણ શોર્ટલિસ્ટ કરી હતી. 'મને ગુજરાત ટાઇટન્સ માટે પસંદ કરી'તેમણે ફોન પર ઇન્ટરવ્યુ લીધો, તેમને મારું કામ ગમ્યું અને સાચે જ તેમને બધો જ ખ્યાલ હતો કે હું ક્યારે શું કરી રહી છું. એવું નહીં કે કોઈ રેન્ડમ પ્રોફાઇલ પસંદ કરી લીધી હોય અને પછી તેમણે મને ગુજરાત ટાઇટન્સ માટે પસંદ કરી. એ મારી પહેલી ક્રિકેટ મેચ હતી અને હું નાનપણથી જ ખૂબ મોટી ક્રિકેટ લવર રહી છું કારણ કે મારો એક મોટો ભાઈ છે જે એકદમ 'ક્રિકેટ ક્રેઝી' વ્યક્તિ છે. તેથી એ મારા માટે 'વિન-વિન' જેવું હતું કારણ કે મને ક્રિકેટ તો પસંદ હતું જ અને સાથે મને ગુજરાત ટાઇટન્સની ઓફિશિયલ ડીજે બનવાની તક મળી. એટલે આ રીતે હું ક્રિકેટ સાથે જોડાઈ. ક્રિકેટ સાથે જોડાવાનો અનુભવ સાવ અલગ જ હતો. હું શબ્દોમાં વર્ણન જ નથી કરી શકતી કે જ્યારે હું સ્ટેડિયમમાં પરફોર્મ કરું છું ત્યારે મને કેવું લાગે છે. તે લાગણી માપી શકાય તેવી નથી, હું તમને તે અનુભવ ચોક્કસ રીતે સમજાવી નહીં શકું. 'નાની ઈવેન્ટમાં પણ એટલી જ નર્વસનેસ હોય છે'5 લોકોનો કાર્યક્રમ હોય, 5,000 હોય, 50,000 હોય કે 5 લાખ હોય, મને લાગે છે કે શો પહેલાની મારી નર્વસનેસ અને એંગ્ઝાયટી હંમેશા એકસરખી જ હોય છે. જો હું કોઈ નાની ઈવેન્ટમાં પર્ફોર્મ કરું તો પણ મને એટલી જ નર્વસનેસ થાય છે કે મારે કાલે પર્ફોર્મ કરવાનું છે અથવા અત્યારે આ શોમાં પર્ફોર્મ કરવાનું છે. એટલે એ તો બેઝિક છે, હવે મેં એ નર્વસનેસને સ્વીકારી લીધી છે. 'આજે તમે કંઈ ભૂલ ન કરી શકો'અહીં ફક્ત પર્ફોર્મન્સ જ મહત્વનું નથી કારણ કે સ્પોર્ટ્સ ઈવેન્ટ્સમાં, ખાસ કરીને ક્રિકેટમાં, બધું જ તમારા વિશે નથી હોતું. તમે કાર્યક્રમનું કેન્દ્ર નથી. તમારી પાસે મોટી જવાબદારીઓ છે કારણ કે અહીં રમત ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું એમ કહીશ કે આપણે અહીં ક્રિકેટની ઉજવણી કરવા આવ્યા છીએ, આપણે તેનું કેન્દ્ર નથી. જ્યારે તમને એ વાતનો સ્વીકાર થઈ જાય છે કે આજે આ શો તમારા માટે નથી, પણ આ જે પ્લેયર્સ, પર્ફોર્મર્સ અને ક્રિકેટર્સ છે, તેમના માટે તમે ઉજવણીમાં એક સપોર્ટિંગ એલિમેન્ટ છો; ત્યારે તમારા મનમાં એક જવાબદારીની ભાવના આવે છે કે હા, આજે તમે કંઈ ભૂલ ન કરી શકો. તમારે 100% સાચા અને સચોટ રહેવું પડે છે. એટલે તમે સ્ટેજ પર એટલી જ જાગૃતિ અને જવાબદારી સાથે જાવ છો. એ વિચારીને કે કરોડો લોકો આ ક્રિકેટ મેચ જોઈ રહ્યા છે અને મેનેજમેન્ટમાં કંઈ પણ ખોટું ન થઈ શકે. જે પણ સાઉન્ડ અમે સ્ટેડિયમમાં પ્લે કરીએ છીએ તે તમને ટીવી પર પણ સંભળાય છે, અને સ્ટેડિયમમાં મ્યુઝિક વગાડતી વખતે ઘણા બધા નિયમો હોય છે. 'ખૂબ જ સાવધ અને જવાબદાર રહેવું પડે છે'સ્ટેડિયમના જે મેમ્બર્સ છે તેમના માટે એક એન્ટરટેઈનમેન્ટ છે, પણ ઓવરઓલ જોવામાં આવે તો તમને આ સ્ક્રિન પર લાઈવ દેખાય છે. તમે ટીવી સ્ક્રિન પર જે અવાજ સાંભળો છો તે બધું જ લાઈવ હોય છે. એટલે અમારે ક્રિકેટ કે કોઈ સ્પોર્ટ્સ ગેમ માટે જે પણ પ્લે કરીએ કે પરફોર્મ કરીએ તેમાં ખૂબ જ સાવધ અને જવાબદાર રહેવું પડે છે. આ અમારા માટે પણ એક નેશનલ વાત છે અને તેથી જ રેગ્યુલર ઈવેન્ટ્સ કરતા અહીં નર્વસનેસ થોડી વધારે હોય છે, કારણ કે જવાબદારીની ભાવના પણ વધી જાય છે. 'મેં IPL, વિમેન્સ અને મેન્સ T20 વર્લ્ડ કપ કર્યા છે'મેં ત્રણ ટુર્નામેન્ટ કરી છે IPL, ICC વિમેન્સ T20 વર્લ્ડ કપ (દુબઈ, શારજાહ દ્વારા હોસ્ટ કરાયેલ) અને ત્રીજું છે ICC મેન્સ T-20 વર્લ્ડ કપ (શ્રીલંકા અને ભારત દ્વારા હોસ્ટ કરાયેલ), જે હું અત્યારે કરી રહી છું. આમ, મેં ત્રણ ક્રિકેટ ટુર્નામેન્ટ કરી છે. આ ટુર્નામેન્ટ સામાન્ય રીતે એક-દોઢ મહિનાની હોય છે, એટલે કે 30 થી 45 દિવસની. તેમાં ખૂબ જ મજા આવે છે, આખું વાતાવરણ બદલાઈ જાય છે. હું ખૂબ જ ભાગ્યશાળી છું કે આ વર્ષે મને આ ટુર્નામેન્ટ મળી, કારણ કે આ એક મોટી ટુર્નામેન્ટ છે અને આના પછીના થોડા વર્ષો સુધી ભારતમાં કોઈ ICC ટુર્નામેન્ટ હોસ્ટ થવાની નથી. મારું વર્ષ 2026 આ ટુર્નામેન્ટ સાથે શરૂ કરીને ખૂબ જ સારો અનુભવ થયો છે, કારણ કે સ્પોર્ટ્સ તમારા જીવનમાં ઘણું ડિસિપ્લિન (શિસ્ત) લાવે છે. મેચમાં પર્ફોર્મન્સ માટે ક્યારે થાય છે જાણ?ICC વર્લ્ડ કપની ફાઈનલ વિશે મને અત્યારે ખબર નથી, કારણ કે આ બાબતની જાણ અમને પણ થોડી ક્ષણો પહેલા અથવા 24 કલાક પહેલા જ થાય છે. IPLની વાત કરું તો, મને તે કરવું ચોક્કસ ગમશે. જોઈએ આ વર્ષે હું ગુજરાત ટાઇટન્સ માટે પરફોર્મ કરું છું કે નહીં. આ વર્ષે હું ખૂબ નસીબદાર હતી કે મને માત્ર આપણા હોમ ગ્રાઉન્ડ અને વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ નહીં, પરંતુ આઇકોનિક ઈડન ગાર્ડન્સ અને દેશના શ્રેષ્ઠ એવા વાનખેડે સ્ટેડિયમમાં પણ પરફોર્મ કરવાની તક મળી. મેં દરેક સ્ટેડિયમ પર ત્રણ-ત્રણ ગેમ્સમાં પરફોર્મ કર્યું છે અને દરેક સ્ટેડિયમનો અનુભવ અને વાતાવરણ એકદમ અલગ અને રોમાંચક હતું. સાચે જ, આ અનુભવ અદ્ભુત હતો. ''છોગાળા' અને 'ઢોલીડા' વગાડતા જ ગુજરાતીઓ ઝૂમે છે'ગુજરાતીઓ ક્યા સોંગ પર ઝૂમી ઉઠે છે તે અંગે કહે છે કે, હું પોતે સુરતની જ છું, એટલે મને ખબર છે કે ગુજરાતીઓની નસ કેવી રીતે પકડવી. હું વચ્ચે-વચ્ચે ઘણા ગુજરાતી ગીતો વગાડું છું જેનાથી ક્રાઉડ ક્રેઝી થઈ જાય છે. પછી ભલે તે 'છોગાળા' હોય, એકદમ જૂનું 'ઢોલી તારો ઢોલ વાગે' હોય કે પછી 'ઢોલીડા...' હોય. આ બધા ગીતો સ્ટેડિયમમાં ખૂબ ટ્રેન્ડિંગ છે. મને લોકોને ઝૂમતા જોવાની ખૂબ મજા આવે છે, ખાસ કરીને જ્યારે તેમની રીલ્સ ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ થાય છે ત્યારે મને ખૂબ આનંદ થાય છે. મુખ્યત્વે આ ત્રણ ગુજરાતી ગીતો છે જે સ્ટેડિયમમાં સૌથી વધુ વાગે છે. 'એ મારો ફ્રેન્ડ જેવો બની ગયો છે'સુરતથી જ મારા ઘણા ક્રેઝી ફેન્સ છે. જેટલા શોઝ મેં આજ સુધી સુરતમાં કર્યા છે, હું આજની વાત નથી કરી રહી, 2017થી વાત કરું છું. હવે તો એ મારો ફ્રેન્ડ જેવો બની ગયો છે. જ્યાં સુધી એ ઈવેન્ટમાં નથી દેખાતો ત્યાં સુધી મને એમ થાય છે કે આ કેમ નથી આવ્યો આજે? જેન્યુઈન ફેન ફોલોઈંગ કઈ રીતે હોય છે એ મને નહોતી ખબર. લોકો આટલું ફોલો કરે છે, આટલું ચાહે છે... આઈ ડીડન્ટ નો ધેટ! દરેક ઈવેન્ટમાં તેઓ ચોક્કસ હાજર હોય જ છે, પછી ભલે હું કોઈ પણ એક્ટિવિટી કરાવતી હોઉં, કોઈ ગીવઅવે હોય, મારો આર્ટ શો હોય, ઈન્ટરવ્યૂ કે પોડકાસ્ટ હોય કે શહેરમાં કોઈ પણ મ્યુઝિક ઈવેન્ટ હોય... તેઓ અચૂક આવે જ છે અને સાથે બીજા લોકોને પણ લાવે છે. એ ખૂબ જ સરસ ફીલિંગ છે. મારી પાસે આવા એક-બે ફેન્સ છે જે હંમેશા દરેક ઈવેન્ટમાં આવે છે. એટલું જ નહીં, ડેઈલી લાઈફમાં પણ ઘણા અપડેટ્સ મળતા રહે છે. તમને ખબર પડી જાય કે કોણ જેન્યુઈન છે. સો, મારી પાસે એવા લોકો છે અને હું એ બદલ ખૂબ જ આભારી છું. મેચ સમયે આ નિયમો પાળવા જરૂરીક્રિકેટ મેચ દરમિયાન સ્ટેડિયમમાં અમને કોઈને મળવાની કે ક્યાંય જવાની છૂટ નથી હોતી. સ્ટેડિયમમાં સામાન્ય રીતે તમારી પાસે અમુક જ એરિયામાં જવાની પરવાનગી હોય છે. તમે ક્રાઉડમાં પણ નથી જઈ શકતા. તમારી પાસે એન્ટરટેઈનમેન્ટ સ્ટેજની પરમિશન હોય તો તમે ત્યાં જ જઈ શકો. એટલે ટૂર્નામેન્ટ દરમિયાન મળવું શક્ય નથી. 'ગુજરાત ટાઇટન્સ માટે પ્રાઇવેટ પાર્ટી કરી હતી'મેં આ વાત ક્યાંય કહી નથી, પણ મેં પ્લેયર્સ માટે એક પ્રાઈવેટ પાર્ટી કરી હતી. આ પાર્ટી ગુજરાત ટાઇટન્સ માટે હતી, ત્યાં દર અઠવાડિયે કંઈ ને કંઈક સેલિબ્રેશન ઇવેન્ટ થતી રહેતી, જેમ કે સુફી નાઈટ અથવા હોળી પાર્ટી. મને પ્લેયર્સ માટે ડીજે નાઈટ કરવાની તક મળી હતી અને હું ગુજરાત ટાઇટન્સના લગભગ બધા જ ખેલાડીઓને મળી છું. તેઓ છેલ્લે ક્વોલિફાય નહોતા થઈ શક્યા એટલે થોડા ઉદાસ હતા, પણ અમે ખૂબ મજા કરી હતી. ઇન્ટરનેટ પર આના કોઈ ફોટો નથી, મેં માત્ર મારા જ વિડિયો મૂક્યા છે એટલે કોઈને ખબર નથી કે હું એમને મળી છું. 'કિંગ ખાન પર મારો સૌથી મોટો ક્રશ'સેલિબ્રિટીઝમાં ક્રશ અંગે કહે છે કે, એવા ઘણા બધા સેલિબ્રિટીઝ છે જેમને હું મળી નથી. હું શાહરૂખ ખાનની (SRK) બહુ મોટી ફેન છું. 'મિસ્ટર કિંગ' શાહરૂખ ખાન મારો સૌથી મોટો ક્રશ છે. બાકી હું જેમને પણ મળી છું, મને નથી લાગતું કે તેમાંથી કોઈ પર મારો ક્રશ હોય. એટલે કદાચ ભવિષ્યમાં મિસ્ટર ધોની મળી જાય કે શાહરૂખ ખાન મળી જાય તો ચોક્કસ મળીશ! મેચમાં આ સમયે ડીજે બંધ કરી દે છેક્રિકેટ સ્ટેડિયમમાં વગાડવામાં આવતા સોંગને લઈને ઘણા પ્રતિબંધો હોય છે. મૂળભૂત રીતે અમે જે પણ સંગીત વગાડીએ છીએ, તે સ્ટેડિયમમાં આવેલી ભીડના મનોરંજન માટે હોય છે. પરંતુ આખરે તો ક્રિકેટ જ મુખ્ય રમત છે. તેથી, જ્યારે પણ બોલર બોલિંગ કરવાની સ્થિતિમાં હોય, બેટર બેટિંગ કરવા માટે તૈયાર હોય. ત્યારે અમારે તે પહેલાં જ સંગીત બંધ કરી દેવું પડે છે. જ્યારે બોલર બોલ ફેંકવા માટે પોઝિશન લેતો હોય, ત્યારે અમે સંગીત નથી વગાડી શકતા કારણ કે તેનાથી ખેલાડીઓનું ધ્યાન ભંગ થઈ શકે છે. અમે ક્યારે મ્યુઝિક વગાડી શકીએ? દરેક બોલ પછી, દરેક ઓવર પૂરી થયા પછી, ઇનિંગ્સ બ્રેક દરમિયાન અને ડ્રિંક્સ બ્રેક કે અન્ય નાના વિરામ દરમિયાન. જ્યારે રમત ચાલુ હોય અને ખેલાડીઓ તૈયાર હોય ત્યારે સંગીત વગાડવું એ ગંભીર બાબત ગણાય છે, અને કદાચ અમને પર્ફોર્મ કરતા પણ રોકી દેવામાં આવી શકે છે. 'આ ગીત વગાડો, પેલું ગીત વગાડો!' સ્ટેડિયમમાં આવતી ફરમાઇશ અંગે કિઆરા કહે છે કે, અમે જ્યારે પ્રેક્ષકોની બેઠક પાસે હોઈએ છીએ, ત્યારે ત્યાં ઘણી ભીડ હોય છે. સામાન્ય રીતે એવું બને છે કે લોકો બૂમો પાડીને કહે છે કે, 'આ ગીત વગાડો, પેલું ગીત વગાડો!' ઘણી વાર એ ગીત વાગી પણ જાય છે, પણ ક્યારેક અમારી પાસે ચોક્કસ ગીતના લાયસન્સ નથી હોતા, તો અમે તેને પ્લે નથી કરી શકતા. લોકો સ્ટેજ પાસે આવીને પણ કહે છે કે, 'પ્લીઝ આ ટ્રેક વગાડો' અને અમે કહીએ છીએ, 'ઓકે, અમે ટ્રાય કરીશું!' 50% ગીત વાગે છે અને 50% નથી પણ વાગતું. તે બધું એ વાત પર નિર્ભર કરે છે કે તેઓ કયા ગીતની વિનંતી કરી રહ્યા છે. કિઆરા 5 દેશોમાં વગાડી ચૂકી છે ડીજેવિદેશ પ્રવાસ અંગે કહે છે કે, માત્ર ક્રિકેટ જ નહીં, પણ મેં 2017માં જ્યારે મારી કારકિર્દી શરૂ કરી ત્યારથી અત્યાર સુધી 2026માં કામના અર્થે લગભગ 5 દેશોની મુલાકાત લીધી છે. પહેલા મેં આવું ક્યારેય વિચાર્યું નહોતું કારણ કે મેં આ બધું એક શોખ તરીકે શરૂ કર્યું હતું. આ મારા માટે એક પેશન હતું, 2019-20માં મને સમજાયું કે હું આ કામ માટે કેટલી ગંભીર છું. ત્યારે મેં મારા લક્ષ્યોની એક યાદી બનાવી હતી અને આજે તે યાદી પૂરી થઈ ગઈ છે અને હવે મેં નવા લક્ષ્યો નક્કી કર્યા છે. પહેલા મને આવું નહોતું લાગતું, પણ થોડા વર્ષોમાં તમને અહેસાસ થાય છે કે તમે આ કામ માટે કેટલા ગંભીર છો. હા, મેં જે પણ સપના જોયા હતા અથવા જે ગોલ્સ સેટ કર્યા હતા, તે અત્યારે પૂર્ણ થવાના આરે છે. વર્લ્ડકપમાં કૂલ 4થી 5 ડીજેઅત્યારે જે આ ICC વર્લ્ડ કપ ચાલી રહ્યો છે, તો આખી ટુર્નામેન્ટમાં ભારત અને શ્રીલંકા બંને દેશોને મળીને લગભગ 4થી 5 ડીજે છે. તેમાંથી બે ડીજે એકદમ નવા છે, અને હું પણ તેમાં ઘણી નવી છું. કારણ કે મારી સાથેના બાકીના જે સિનિયર્સ છે, તેઓ છેલ્લા 14 વર્ષથી સ્પોર્ટ્સ શો અને કોર્પોરેટ ઇવેન્ટ્સ કરી રહ્યા છે. ઘણા સમય પછી આ ટીમમાં થોડો બદલાવ આવ્યો છે અને તે ઇવોલ્વ થઈ છે. હું આ ટીમમાં એક નવી મેમ્બર છું અને હું ખૂબ જ આભારી છું કે તેઓએ મારા પર વિશ્વાસ મૂક્યો. કારણ કે આ માત્ર તમારી મ્યુઝિક સ્કિલ વિશે નથી, પણ તમારી ડિસિપ્લિન અને વર્તન વિશે પણ છે. 'ટીમમાં હું એકલી જ મહિલા ડીજે છું'ટીમમાં બાકીના બધા જ ડીજે પુરુષો છે, હું એકલી જ મહિલા ડીજે છું. સામાન્ય રીતે સ્ટેડિયમમાં જે એન્કર્સ હોય છે તેમાં એક પુરુષ અને એક મહિલાનો અવાજ સંભળાય છે, આવું કોમ્બિનેશન દરેક ICC ઇવેન્ટ્સ અને હવે IPLમાં પણ જોવા મળે છે. પરંતુ ડીજે તરીકે આ ટુર્નામેન્ટમાં હું એકલી જ ફિમેલ છું. મહિલા ડીજેની સંખ્યા ખૂબ જ મર્યાદિત છે. હું અહીં માત્ર એક ગેસ્ટ આર્ટિસ્ટ તરીકે 30-40 મિનિટ માટે નથી આવતી, પણ હું આખે આખી મેચ પ્લે કરું છું. અત્યારે એવી કોઈ બીજી મહિલા ડીજે નથી જે 7થી 10 કલાકની આખી ગેમ હેન્ડલ કરતી હોય. તેથી, આ રીતે ફૂલ મેચ કરનાર હું એકમાત્ર મહિલા આર્ટિસ્ટ છું. 'ખુદને વિશ્વાસ નહોતો થતો કે હું ક્યાં આવી છું' તાજેતરમાં મેં મ્યુઝિયમ ઓફ ધ ફ્યુચર, દુબઈમાં પરફોર્મ કર્યું હતું. જ્યારે હું ત્યાં એન્ટર થઈ ત્યારે ખુદને વિશ્વાસ નહોતો થતો કે હું ક્યાં આવી છું અને શા માટે અહીં પરફોર્મ કરવા આવી છું. મને કંઈ જ ખબર નહોતી. એટલે કે, તે મારા જીવનનો સૌથી મોટો અનુભવ હતો, હું તેને માત્ર સિદ્ધિ નહીં પણ 'સૌથી મોટો અનુભવ' કહીશ કે મેં આટલા મોટા મોન્યુમેન્ટ અને આઇકોનિક વેન્યુ પર પરફોર્મ કર્યું છે. અને તેના એક વર્ષ પહેલા જ હું ત્યાં વિઝિટ કરવા ગઈ હતી. જ્યારે હું વિમેન્સ વર્લ્ડ કપ કરી રહી હતી. ત્યારે મેં ત્યાં ઘણી મજા કરી હતી અને ફોટો પણ પડાવ્યા હતા અને બરાબર એક વર્ષ પછી મને ત્યાં પરફોર્મ કરવાની તક મળી. 'બહુ ઓછા આર્ટિસ્ટોએ ત્યાં પરફોર્મ કર્યું હશે'હું ત્યાં પરફોર્મ કરનારી પહેલી મહિલા ડીજે છું. મને લાગે છે કે બહુ ઓછા આર્ટિસ્ટોએ ત્યાં પરફોર્મ કર્યું હશે કારણ કે ત્યાં કાર્યક્રમો બહુ ઓછા થતા હોય છે. આ પરફોર્મન્સ 'EPEX GALA' નામની એક કોન્ફરન્સ માટે હતું, જે ઇવેન્ટ અને એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રી માટે યોજાય છે. તે ગાલા નાઈટ હતી અને હું ત્યાં પરફોર્મ કરવા માટે હતી. આ કોન્ફરન્સમાં સમગ્ર વિશ્વમાંથી લગભગ 200 થી 300 લોકો આમંત્રિત હતા, જેમાં ભારતીયો અને વિદેશીઓ પણ હતા. મ્યુઝિયમ ઓફ ધ ફ્યુચરનો એ અનુભવ અદ્ભુત હતો... સાચે જ બહુ મજા આવી ગઈ હતી.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 6:00 am

બોર્ડ પરીક્ષાના સ્કોરિંગ સબ્જેક્ટમાં સેન્ચુરી કેવી રીતે ફટકારશો?:એક-એક એક્સ્ટ્રા જવાબ લખો એટલે 12 સાયન્સના ગણિતની ગેમ ઓવર, આમ કરો અંતિમ કલાકોમાં તૈયારી

હાલ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ ચાલી રહી છે. હવે આગામી 6 માર્ચે ધો.10માં અને 9 માર્ચે 12 સાયન્સમાં મેથ્સનું પેપર લેવાશે. જ્યારે 9 માર્ચે કોમર્સમાં આંકડાશાસ્ત્રની પરીક્ષા છે.આ બોર્ડ પરીક્ષાને લઈ દિવ્ય ભાસ્કર મેઇન પેપરમાં છેલ્લા કલાકોમાં કેવી રીતે તૈયારીઓ કરવી તેની એક્સપર્ટ્સ ટિપ્સ જણાવી રહ્યા છીએ. 9 માર્ચે ધોરણ 12 સાયન્સનું ગણિતનું પેપર લેવાશે. ગ્રીપ ધરાવતા વિદ્યાર્થીઓ માટે મેથ્સ સ્કોરિંગ સબ્જેક્ટ છે અને ગણિતથી ડરેલા વિદ્યાર્થી માટે માથાનો દુખાવો છે. 100માંથી 100 માર્ક્સ લેવા માટે સૌ પ્રથમ MCQ અને બાદમાં સેક્શન C, B અને છેલ્લે A સેક્શન લખવા જરૂરી છે. જેથી પહેલા 4, પછી 3 અને છેલ્લે 2- 2 માર્કના દાખલા ગણવા. જેથી સમયસર પેપર પૂર્ણ થઈ જાય. 'વિચારવાનો સમય જોઈએ છે તે પ્રશ્નો છોડી દેવા'રાજકોટની વી.જે. મોદી સ્કૂલના સાયન્સ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપાલ ઉર્વીબેન ભટ્ટે જણાવ્યું હતું કે, ધોરણ 11 અને 12 સાયન્સમાં છેલ્લા 20 વર્ષથી મેથેમેટિક્સ ભણાવુ છું. 9 માર્ચે મેથ્સનું પેપર છે ત્યારે વિદ્યાર્થીઓને પ્રથમ એક કલાક MCQ લખવાના હોય છે. નેગેટીવ માર્કિંગ ન હોવાથી તમામ પ્રશ્નો લખવાના રહેશે. સૌપ્રથમ જે પ્રશ્નો આવડે છે તે લખી નાખો અને જેમાં વિચારવાનો સમય જોઈએ છે તે પ્રશ્નો છોડી દેવા જોઈએ. આ રીતે 50 MCQ પૂર્ણ થયા બાદ જે MCQ છોડી દીધા છે તે વાંચો અને રિકોલ કરી તેના જવાબો લખવાનો પ્રયત્ન કરો. 'આટલું કર્યું હશે તે વિદ્યાર્થીઓને કોઈ જ સમસ્યા નહીં આવે'આ ઉપરાંત 50 માર્કની થિયરીમાં સેક્શન Cથી શરૂઆત કરો કારણ કે મોટાભાગે મેથેમેટિક્સનું પેપર ટેક્સ્ટ બુક આધારિત હોય છે. જે વિદ્યાર્થીઓએ તમામ દાખલાઓ અને ઉદાહરણો લખી લખીને તૈયાર કર્યા હશે તેઓને કોઈ જ સમસ્યા નહીં આવે. વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખે કે કોઈપણ દાખલો હોય તેમાં ડેટા અને સૂત્રો ખાસ લખવા જરૂરી છે. આ ઉપરાંત આકૃતિ અને નામ નિર્દેશ હાઈલાઇટ થાય તે રીતે દોરવા. જેનાથી એક્ઝામિનરનું તુરંત ત્યાં ધ્યાન જાય. 'દરેક સેક્શનમાં એક-એક એક્સ્ટ્રા સવાલનો જવાબ લખો'આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને એક સજેશન છે કે દરેક સેક્શનમાં એક-એક એક્સ્ટ્રા સવાલનો જવાબ લખવામાં આવે. જેનાથી તે વિદ્યાર્થીની પૂરેપૂરા માર્કસ મેળવવાની શક્યતાઓ વધી જાય છે. મેથ્સનું પેપર ઇઝી ટુ મોડરેટ નીકળે છે. ગણિતનું પેપર એટલું અઘરું કોઈ દિવસ નથી નીકળતું કે વિદ્યાર્થીઓનું મોરલ ડાઉન થઈ જાય. 'આંકડાશાસ્ત્રમાં ટેક્સ્ટ બુક કરો એટલે પૂરા માર્ક્સ'જ્યારે 9 માર્ચે લેવાનારા આંકડાશાસ્ત્રના પેપરની ટિપ્સ આપતા નિષ્ણાત પિયુષ શાહે જણવ્યું હતું કે સેક્શન Fથી શરૂઆત કરવાની અને બાદમાં વિભાગ એ કે જેમાં વૈકલ્પિક પ્રશ્નો આવે છે. આ દરેક પ્રશ્નો પાઠ્યપુસ્તક પ્રમાણે હોય છે, જે પાઠ્યપુસ્તકમાંથી કરી લેવા જોઈએ. જેથી આપ પૂરા માર્ક્સ મેળવી શકો છો. 'જે નથી આવડતું તેની જગ્યા છોડી દો'વધુમાં કહ્યું કે, જ્યારે તમે પેપર લખતા હોય ત્યારે ઘણા વિદ્યાર્થીઓ બે વિભાગ એકમાં લખતા હોય છે. જે યોગ્ય બાબત નથી. પરીક્ષામાં વિભાગ અનુસાર લખવું જોઈએ, જે પ્રશ્નો નથી આવડતા તે પ્રશ્નોની જગ્યા છોડી દેવા જોઈએ અને અંતિમ સમયમાં સમય મળે ત્યારે તેનો વિચાર કરવો જોઈએ. 'ધો.10ના મેથ્સમાં ખાલી આંકડા જ ફરશે બાકી બધું એ જ રહેશે'ધોરણ 10ના મેથ્સના પેપરને લઈ એચ.બી. કાપડિયા હાઈસ્કૂલના ગણિતના શિક્ષક ચેતન પટેલે વિદ્યાર્થીઓને સરળ અને અસરકારક માર્ગદર્શન આપ્યું છે. તેમણે કહ્યું કે બોર્ડની પરીક્ષા કોઈ અલગ કે કોઈ વધારે મુશ્કેલ પરીક્ષા નથી, પરંતુ અન્ય પરીક્ષાની જેમ જ એક સામાન્ય પ્રક્રિયા છે. વિદ્યાર્થીઓએ ડરવાની જરૂર નથી, પરંતુ આત્મવિશ્વાસ સાથે તૈયારી કરવી જોઈએ. ચેતન પટેલે જણાવ્યું કે ગણિતનું પ્રશ્નપત્ર હંમેશા પાઠ્યપુસ્તક આધારિત હોય છે. પ્રશ્નોમાં આંકડાનો થોડો ફેરફાર થઈ શકે છે જેમ કે 12 x 15ની જગ્યાએ 18 x 27 પૂછાઈ શકે પરંતુ ઉકેલવાની પદ્ધતિ એ જ રહે છે. એટલે જો વિદ્યાર્થીઓએ પાઠ્યપુસ્તકના દાખલા સારી રીતે સમજી લીધા હોય તો તેઓ કોઈપણ ફેરફાર સાથેના પ્રશ્નો સરળતાથી ઉકેલી શકે છે. 'સૂત્રો કરી લીધા એટલે 50 ટકા તૈયારી પૂર્ણ'તેમણે ખાસ ભાર મૂક્યો કે સૂત્રોનું મહત્વ અત્યંત અગત્યનું છે. જો વિદ્યાર્થીએ બધા સૂત્રો પાકા કરી લીધા હોય તો 50 ટકા ગણિતની તૈયારી પૂર્ણ થઈ ગઈ ગણાય. સૂત્રો યાદ હશે તો દાખલાઓ ગણી કાઢવામાં સમય પણ ઓછો લાગશે અને ભૂલો પણ ઓછી થશે. જ્યારે ચેપ્ટર 5, ચેપ્ટર 13 અને ચેપ્ટર 14માંથી કુલ 35 થી 40 માર્ક્સ સુધીના પ્રશ્નો પૂછાતા હોય છે. એટલે કે આ ત્રણ મુખ્ય પ્રકરણો તૈયાર કરવાથી અડધી ચોપડી તૈયાર થઈ જાય છે. યોગ્ય આયોજન સાથે તૈયારી કરવામાં આવે તો ઓછા સમયમાં વધુ પરિણામ મેળવી શકાય છે. નવી ‘જનરલ ઓપ્શન’ યોજનામાં થશે ખૂબ ફાયદોનવી ‘જનરલ ઓપ્શન’ યોજના અંગે તેમણે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા હવે 13 પ્રશ્નોમાંથી કોઈપણ 9 પ્રશ્નો અને 8 પ્રશ્નોમાંથી કોઈપણ 5 પ્રશ્નો પસંદ કરવાની તક આપવામાં આવી છે. એટલે વિદ્યાર્થી અઘરા પ્રશ્નોને છોડીને સરળ પ્રશ્નો પસંદ કરી શકે છે અને પૂરા માર્ક્સ મેળવી શકે છે. સેક્શન A પર ખાસ ભાર આપોતેમણે એક મહત્વની બાબત પર ખાસ ધ્યાન દોર્યું કે સેક્શન Aમાં કોઈ વિકલ્પ નથી. અહીં 24માંથી 24 પ્રશ્નો અટેમ્પ્ટ કરવા જરૂરી છે. જો વિદ્યાર્થી આ 24 પ્રશ્નો સારી રીતે તૈયાર કરી લે તો 24 માર્ક્સ રોકડા મેળવી શકે છે. તેથી સેક્શન A પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. તેમણે ટાઇમ મેનેજમેન્ટ અંગે કહ્યું કે, પ્રશ્નપત્રમાં એ, બી, સી અને ડી એમ ચાર વિભાગ હોય છે. વિદ્યાર્થીઓએ કોઈ પણ વિભાગથી શરૂઆત કરી શકે છે. જે વિભાગમાં વધુ આત્મવિશ્વાસ હોય તે વિભાગ પહેલા અટેમ્પ્t કરવાથી આત્મવિશ્વાસ વધે છે અને પેપર સરળ લાગે છે. અમારી સ્કૂલમાં ઘણા વિદ્યાર્થીઓએ 100 માંથી 100 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે, જેમાં 80 માર્ક્સ બોર્ડ પરીક્ષાના અને 20 માર્ક્સ ઇન્ટર્નલના હોય છે. છેલ્લે તેમણે વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો કે નિયમિત અભ્યાસ, સૂત્રોની મજબૂત તૈયારી, મહત્વના પ્રકરણો પર ધ્યાન અને સ્વચ્છ પ્રેઝન્ટેશન આ ચાર બાબતો અપનાવી લેવામાં આવે તો ગણિત વિષયમાં સારું પરિણામ મેળવવું મુશ્કેલ નથી.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 6:00 am

મંત્રી પર ‘રિંગણમારો’, બુરા ના માનો હોલી હૈ:ઋષિકેશ પટેલે ફટાફટ કાચ બંધ કર્યો, મોઢા પર રિંગણ વાગતા રહી ગયું; ગોપાલ ઈટાલિયાએ ભાંગડા કર્યાં, જુઓ VIDEO

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 6:00 am

દુબઇમાં ખિસ્સાં ખાલી થયા ને ફ્લાઇટ્સ પણ બંધ થઇ:ગુજરાતીઓ માટે દેવદૂત બન્યો વૈષ્ણવ સંઘ UAE, પીક અપ-ડ્રોપથી લઇને રહેવા જમવાની સુવિધા આપી

જ્યારે અજાણ્યા દેશમાં મુશ્કેલી આવે અને ઘરે પાછા આવવાના તમામ રસ્તા બંધ થઇ જાય ત્યારે એક નાનકડી મદદ પણ મહત્વની સાબિત થતી હોય છે. મિડલ ઇસ્ટમાં યુદ્ધ ફાટી નીકળતા દુબઇમાં ફ્લાઇટ્સ રદ થવાથી ઘણા ભારતીય પરિવારો અટવાયા છે. હોટલના બિલ અને ચિંતાએ તેમને માનસિક રીતે તોડી નાખ્યા ત્યારે વૈષ્ણવ સંઘ UAEની ટીમ તેમની મદદે આવી છે. દ્વારકેશ લાલજીની પ્રેરણાથી નિખિલ સાયાણી અને તેમની ટીમે હજારો કિલોમીટર દૂર પરદેશમાં માનવતાનો દીવો પ્રગટાવ્યો છે. જેની હૂંફ અહીં ભારતમાં બેઠેલા પરિવારો સુધી પહોંચી રહી છે. વૈષ્ણવ સંઘ UAEએ દુબઇમાં ફસાયેલા પ્રવાસીઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરી હતી સાથે જ સવારના યોગથી લઇને રાતની અંતાક્ષરી અને ફિલ્મો સુધી વૈષ્ણવ સંઘે એક એવું વાતાવરણ ઊભું કર્યું કે ડરેલા ચહેરાઓ પર ફરી સ્મિત આવ્યું છે. આવી યુદ્ધની પરિસ્થિતી વચ્ચે પણ એક પરિવાર બનીને લોકોને મદદ કરવાનું આ કામ કેવી રીતે શક્ય બન્યું એ જાણવા માટે દિવ્ય ભાસ્કરે વૈષ્ણવ સંઘ UAE ના નિખિલ સાયાણી સાથે વાતચીત કરી હતી. તેઓ મૂળ અમદાવાદના વતની છે અને છેલ્લા 20 વર્ષથી દુબઇમાં રહે છે. તેમણે 3 કિસ્સા કહ્યાં. કિસ્સો 1નૈરોબીમાં રહેતી ગુજરાતી મહિલા UKમાં વસતા તેમના પરિવારના સભ્યો સાથે ફરવા માટે દુબઇ આવી હતી પણ ફ્લાઇટ બંધ થતાં બધા ફસાઇ ગયા હતા. દરમિયાન UKના પરિવારજનોની ફ્લાઇટ બૂક થઇ જતાં તેઓ જતાં રહ્યાં હતા અને નૈરોબીથી આવેલી મહિલા દુબઇમાં એકલી રહી ગઇ હતી. આ મહિલાને હોટલમાંથી પણ ચેકઆઉટ કરવું પડ્યું હતું. જેથી તે ખૂબ ટેન્શનમાં હતી. મહિલાએ જ્યારે વૈષ્ણવ સંઘ UAEની ટીમનો સંપર્ક કર્યો ત્યારે ટીમે તેમને કહ્યું કે તમારે કોઇ ચિંતા કરવાની જરૂર નથી. અમે તમારી મદદ કરીશું અને જ્યારે પણ તમારી ફ્લાઇટ બૂક થશે ત્યારે તમને ડ્રોપ પણ કરી દઇશું. જેના પછી મહિલાનો ડર દૂર થયો અને તેના ચહેરા પર ખુશી જોવા મળી. કિસ્સો 2મુંબઇમાં રહેતા એક ગુજરાતી પરિવારના દીકરાને દુબઇમાં જોબ મળી હતી એટલે તેના માતાપિતા તેને દુબઇ મુકવા આવ્યાં હતા. યુદ્ધ બાદ દુબઇની પરિસ્થિતિ જોઇ તેઓ ખૂબ જ ગભરાઇ ગયા હતા. આ પરિવાર વિશે જ્યારે નિખિલ સાયાણી અને તેમની ટીમને જાણ થઇ ત્યારે ટીમે પરિવારની મુલાકાત લીધી હતી અને તેના માતાપિતાને સમજાવ્યું કે તમે કોઇપણ પ્રકારની ચિંતા ન કરશો. અમે જે પણ મદદની જરૂર હશે તે પૂરી પાડીશું. આના પછી નિખિલ સાયાણીએ પોતાની કારમાં એ દીકરાને તેની જોબના સ્થળે પહોંચાડ્યો હતો. તેના માતા પિતાને ભારત આવવાની ફ્લાઇટ હતી એટલે વૈષ્ણવ સંઘ UAEની ટીમે તેમને ભરોસો અપાવ્યો કે અમે અહીંયા છીએ. તમે કોઇપણ ટેન્શન રાખ્યા વગર ભારત જાઓ. કિસ્સો 3નિખિલ સાયાણીએ જણાવ્યું કે, મંગળવારે સાંજના સમયે અમે લોકોએ અમારી જોબ પતાવીને આપણાં ગુજરાતીઓ અને ભારતીયો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન અમે તેમની સાથે વાતચીત કરી હતી. જેમાં એક પરિવાર લોસ એન્જલસથી ભારત અને ભારતથી પાછો લોસ એન્જલસ જતો હતો. પરિવારે વૈષ્ણવ સંઘ UAEની ટીમને કહ્યું કે અમે આવી પરિસ્થિતિમાં ખૂબ માનસિક દબાણ અનુભવતા હતા પણ તમે એટલી સારી રીતે કાળજી રાખી છે કે અમને અહીં અમારા ઘર જેવું જ લાગ્યું. જે ટેન્શન હતું તે પણ હવે દૂર થઇ ગયું છે. વાંચો, દુબઇમાં ફસાયેલા ગુજરાતીઓની મદદે આવી જૈન સંસ્થા 1 માર્ચથી મદદની શરૂઆત કરી દીધીવૈષ્ણવ સંઘ UAEના 10 લોકોએ ફસાયેલા પ્રવાસીઓની મદદ કરવાનું નક્કી કર્યું હતું અને 1 માર્ચથી જ મદદની શરૂઆત કરી દીધી હતી. તેમણે સાંજે સોશિયલ મીડિયામાં એક પોસ્ટર અપલોડ કર્યું હતું. જેના પછી વહેલી સવારથી જ કોલ આવવાના શરૂ થઇ ગયા હતા. તેમને સૌથી પહેલો કોલ ગુજરાતી ટુરિસ્ટનો આવ્યો હતો. સોશિયલ મીડિયા પોસ્ટ જોઇને એક ગ્રુપે મદદ માગીઆના વિશે નિખિલ સાયાણી કહે છે કે, 50 લોકોનું ગ્રુપ તેમના ટૂર મેનેજર સાથે અહીં ફરવા આવ્યું હતું. અમારી આ પોસ્ટ જોઇને તેમણે કોલ કર્યો હતો. એ સમયે તેઓ ખૂબ જ ગભરાયેલી હાલતમાં હતા પણ અમે તેમને સાંત્વના આપી અને કહ્યું તમે જરા પણ ચિંતા ન કરશો, અમે તમારી સાથે છીએ. એ પછી અમે તેમના લોકેશન પર પહોંચ્યાં અને તેમની હોટલ પરથી સ્પેશિયલ બસ કરીને અમારા શારજહાંના લોકેશન પર તેમને પહોંચાડ્યાં હતા. શરૂઆતના તબક્કે તેમણે ફક્ત 300 લોકો માટે વ્યવસ્થા કરી હતી. જેમાં સૂવા માટે, ખાવા-પીવા માટેની સુવિધા હતી. જો કે હવે 600 લોકો માટેની સુવિધા છે. 600 લોકો રહી શકે તેવી વ્યવસ્થાનિખિલ જણાવે છે કે, ધીરે ધીરે સંખ્યા વધવા લાગી એટલે અમારી પાસે જે ખુલ્લી જગ્યા હતી ત્યાં બહાર મોટા ટેન્ટ તાત્કાલિક ઊભા કરાવડાવ્યાં અને ત્યાં પણ બિસ્તરથી લઈને કુલર અને ફેનની પણ વ્યવસ્થા કરી. જેથી લોકો સારી રીતે રહી શકે. આમ અંદાજે 600 કરતાં વધારે લોકો એક સાથે રહી શકે તેવી સુવિધા ઊભી કરી છે. ફસાયેલા લોકો સામેથી અહીં આવે તેવું જ નહીં પણ જો કોઇ કોલ કરે તો વૈષ્ણવ સંઘ UAEની ટીમના સભ્યો તેમને ત્યાં લેવા માટે પણ પહોંચી જાય છે. મદદ માગે તેને લેવા માટે ટીમ પહોંચી જાયસાયાણીએ કહ્યું, ઘણા લોકોને ફાઇનાન્શિયલ ઇશ્યુ પણ થયા હતા. જેના કારણે તેઓ હોટલમાં પૈસા ભરી શકે તેમ નહોતા. આવા ઘણા લોકોએ મદદ મેળવવા માટે અમને કોલ કર્યા હતા. અમે વન બાય વન બેચ બનાવીને જ્યાં-જ્યાંથી કોલ આવ્યાં હતા ત્યાં જઇને તેમને પીક કરીને અમારા લોકેશન સુધી લાવ્યા હતા. અહીં એકસાથે 2 હજાર લોકોનું ભોજન બનાવી શકાય તેવી તૈયારી પણ છે.તેઓ કહે છે કે, અહીં અમે બેકઅપમાં એક સાથે 2 હજાર લોકોનું ભોજન બનાવી શકાય તેવી પણ તૈયારીઓ કરી દીધી છે. જેથી જો હજુ વધારે લોકો આવે તો તેમને પણ ભોજન પૂરું પાડી શકાય. આ સિવાય અમે અમારા સ્ટાફ મેમ્બર્સને પણ ગાડીના ડ્રાઇવર સાથે મોલ્સની બહાર સ્ટેન્ડબાયમાં રાખ્યાં છે. જેથી જો કોઇ વ્યક્તિને તાત્કાલીક મદદની જરૂર હોય તો તેને પણ હેલ્પ કરી શકાય. સવારથી રાત સુધી જુદી-જુદી એક્ટિવિટીઆ કેમ્પમાં રહેતા લોકો સવારે ઉઠે એટલે તેમને યોગ અને કસરત કરાવાયા છે. બપોરે અલગ અલગ એક્ટિવિટી અને સાંજે વિવિધ પ્રકારની ગેમ રમાડાય છે. જ્યારે રાત પડતાં જ મોટો પડદો લગાવીને ફિલ્મ બતાવાય છે, અંતાક્ષરી રમાડાય છે. જેથી તેમને ઘર જેવા વાતાવરણનો અનુભવ થાય. આની પાછળનું કારણ જણાવતા નિખિલે કહ્યું, અમે આ લોકો સાથે મુલાકાત કરી તો ધ્યાનમાં આવ્યું કે તેઓ ખૂબ જ ગભરાયેલા છે અને માનસિક તણાવમાં છે એટલે અમે લોકોએ નક્કી કર્યું કે આપણે તેમને કોઇને કોઇ રીતે બિઝી રાખવા જોઇએ જેથી અમે આખું શિડ્યુલ બનાવ્યું હતું. એરપોર્ટ સુધી મુકવા જાયહવે જેમ જેમ ફ્લાઇટ્સનું બુકિંગ મળે છે તેમ તેમ લોકો અહીંથી વિદાય લઇ રહ્યાં છે. આ લોકો ફ્લાઇટના સમય પહેલાં સુરક્ષિત રીતે એરપોર્ટ પહોંચી શકે તે માટે તેમને ડ્રોપ કરવા સુધીની વ્યવસ્થા પણ વૈષ્ણવ સંઘ UAEની ટીમે કરી છે. પ્રવાસીઓ આંખોમાં આંસુ સાથે વિદાય લે છેનિખિલ સાયાણીએ કહ્યું, અમે લોકોને મદદ કરી અને જ્યારે તેઓ પાછા ફરી રહ્યાં હતા ત્યારે તેમની આંખોમાં આંસુ હતા. તેઓ એવું કહેતા કે તમે પરિવારના સભ્યની જેમ અમારી કાળજી રાખી હતી. જ્યારે લોકો અહીં અટવાયા હતા ત્યારે જે હાવભાવ હતા તેના કરતાં હવે ખૂબ જ નોર્મલ થઇ ગયા છે. જે મહિલાઓ અહીં રોકાયેલી છે તેઓ રસોડાંમાં જઇને રસોઇ બનાવવામાં મદદ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 6:00 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ઈરાની જહાજ ભારતથી નીકળ્યું ને અમેરિકાએ ઉડાડ્યું; બિહારના CM નીતિશની ગુગલી, ગુજરાતમાં ધુળેટીના દિવસે પાણીએ 27નો ભોગ લીધો

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ભારતથી પરત ફરી રહેલા ઈરાની યુદ્ધજહાજ પર અમેરિકાના હુમલાના છે, જેમાં 80થી વધુ સૈનિકો માર્યા ગયા છે. બીજા સમાચાર બિહારથી છે, જ્યાં નીતીશ કુમારના રાજ્યસભામાં જવા અંગેની ચર્ચા છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. નેપાળમાં સામાન્ય ચૂંટણી માટે વોટિંગ થશે. 2025માં GEN-Z પ્રદર્શન બાદ આ પ્રથમ ચૂંટણી છે. 2. T-20 વર્લ્ડકપમાં બીજી સેમીફાઈનલ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમવામાં આવશે. કાલના મોટા સમાચારો 1. ભારતથી પરત ફરી રહેલા ઈરાની યુદ્ધ જહાજ પર અમેરિકાનો હુમલો:શ્રીલંકા પાસે ડૂબ્યું; 87 સૈનિકોનાં મોત; 32ને બચાવી લેવામાં આવ્યા આજે અમેરિકા-ઇઝરાયલ-ઈરાન યુદ્ધનો પાંચમો દિવસ છે. અમેરિકાએ શ્રીલંકા નજીક ભારતથી પરત ફરતા ઈરાની યુદ્ધ જહાજ આઈરિસ દેના પર હુમલો કરીને તેને ડૂબાડી દીધું છે. શ્રીલંકન સરકારના જણાવ્યા અનુસાર, આ હુમલામાં અત્યાર સુધીમાં 87 ઈરાની સૈનિકો માર્યા ગયા છે. યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગસેથે જણાવ્યું હતું કે હિંદ મહાસાગરમાં એક અમેરિકન સબમરીન ટોર્પિડોએ ઈરાની જહાજને ડૂબાડી દીધું હતું. શ્રીલંકાના નૌકાદળે 32 ઘાયલને બચાવ્યા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જહાજ પર આશરે 180 નૌસૈનિક હતા. ગુમ થયેલા લોકોને શોધવા માટે શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે. ગયા મહિને ભારતના વિશાખાપટ્ટનમમાં યોજાયેલા 2026 ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂમાંથી ઈરાની યુદ્ધ જહાજ પરત ફરી રહ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 2. બિહારના રાજકારણમાં મોટી ઊથલપાથલના સંકેત:મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજીનામુ આપી શકે, રાજ્યસભામાં જાય તેવી ચર્ચા; દીકરાની થશે રાજકારણમાં એન્ટ્રી? બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પોતાના પદ પરથી રાજીનામું આપીને રાજ્યસભામાં જોડાઈ શકે છે. બુધવારે સાંજે મુખ્યમંત્રી નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સંજય ઝા અને વિજય ચૌધરી હાજર રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ નીતિશને દિલ્હી જવા દેવા માંગતા નથી. છ કલાક ચાલેલી બેઠક દરમિયાન વિજય ચૌધરીએ મીડિયાને જણાવ્યું હતું કે અંતિમ નિર્ણય નીતિશ કુમારનો છે. અગાઉ, JDUએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે, નીતીશ કુમાર બિહારના સૌથી સ્વીકૃત નેતા છે. તેમની લોકપ્રિયતા આજે દરેક ક્ષેત્રમાં સ્પષ્ટપણે દેખાય છે. લોકોનો આ પ્રેમ અને અપાર સમર્થન તેમની સાચી ઓળખ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. યુદ્ધ માટે ભારતીય વિદેશ મંત્રાલયનો સ્પેશિયલ કંટ્રોલરૂમ:શ્રીનગરમાં સતત ચોથા દિવસે હાઈએલર્ટ, 4 દિવસમાં ભારતની 1117 ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ અમેરિકા, ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ઇરાને દુનિયાનો સૌથી મહત્વનો હોર્મુઝ રૂટ બંધ કરી દીધો છે. જેના કારણે ભારતીય ધ્વજવાળા 37 જહાજો અને તેમાં સવાર 1,109 ભારતીય નાવિકો હાલમાં ફારસની ખાડી અને ઓમાનની ખાડીમાં ફસાયેલા છે. યુદ્ધને કારણે પશ્ચિમ એશિયાના 8 દેશોએ એરસ્પેસ સંપૂર્ણપણે બંધ કરી દીધા છે. 28 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયા પછી અત્યાર સુધીમાં ભારતીય એરલાઇન્સે 1,117 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી છે. જેના કારણે હજારો મુસાફરો એરપોર્ટ પર ફસાયા છે. ખામેનીના મૃત્યુના થોડા જ કલાકોમાં, પાકિસ્તાનમાં હજારો ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા. તેઓએ કરાચીમાં US કોન્સ્યુલેટ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને ઇસ્લામાબાદમાં રાજદ્વારી વિસ્તારની બહાર પોલીસ સાથે અથડામણ કરી. સુરક્ષા દળો સાથેની અથડામણમાં ઓછામાં ઓછા 34 લોકો માર્યા ગયા. 120 થી વધુ લોકો ઘાયલ થયા. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ન્યૂઝીલેન્ડ T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચ્યું:સા. આફ્રિકાને 9 વિકેટે હરાવ્યું, ફિન એલને ટુર્નામેન્ટની ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારી ન્યૂઝીલેન્ડે બીજી વખત T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ટીમે બુધવારે રમાયેલી પહેલી સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકાને એક વિકેટથી હરાવ્યું. ટીમ પહેલીવાર 2021ની ફાઈનલમાં પહોંચી હતી. કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં કિવી ટીમના કેપ્ટન મિચેલ સેન્ટનરે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. સાઉથ આફ્રિકાએ 20 ઓવરમાં 8 વિકેટે 169 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડે 170 રનનો ટાર્ગેટ માત્ર 12.5 ઓવરમાં એક વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો. ફિન એલને 33 બોલમાં 100 રનની અણનમ ઇનિંગ રમી. તેણે T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારી છે. તેણે વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ બેટર ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો. ગેલે 2016માં ઇંગ્લેન્ડ સામે 47 બોલમાં સદી ફટકારી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 5. CNG-રસોઈ ગેસની કિંમતો વધી શકે છે:કતરમાં ગેસ ઉત્પાદન બંધ, ભારતમાં 40% સપ્લાય ઘટી; મિડલ-ઈસ્ટ યુદ્ધના કારણે સંકટ મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ભારતમાં CNG (કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) અને PNG (પાઈપ્ડ નેચરલ ગેસ)ની કિંમતો વધી શકે છે. ઈરાનના ડ્રોન હુમલા પછી ભારતને ગેસ સપ્લાય કરતો સૌથી મોટો દેશ કતાર તેના લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) પ્લાન્ટનું ઉત્પાદન રોકી ચૂક્યો છે. આનાથી ભારત આવતા જહાજોની અવરજવર અટકી ગઈ છે અને સ્થાનિક બજારમાં ગેસના સપ્લાયમાં 40% સુધીનો મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. ભારત તેની જરૂરિયાતની 40% LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ) એટલે કે વાર્ષિક આશરે 2.7 કરોડ ટન કતારથી જ આયાત કરે છે. વિદેશથી આવતી LNGને ગેસમાં રૂપાંતરિત કરીને જ CNG અને PNG સપ્લાય કરવામાં આવે છે. તેનો સપ્લાય અટકવાથી સિટી ગેસ કંપનીઓ (CGD)એ ચેતવણી આપી છે કે જો પરિસ્થિતિઓ જલ્દી સુધરશે નહીં, તો CNG અને PNGના ભાવ વધી શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. રાજ્યમાં ધૂળેટીની ખુશી માતમમાં ફેરવાઈ, ડૂબવાથી 27નાં મોત:મહીસાગરમાં 2 સગા ભાઈ સહિત 5, અમદાવાદના સીતાપુર અને સુરત કીમ નદીમાં 3-3 ડૂબ્યાં, માલપુરમાં 2 માસૂમ તણાયાં સમગ્ર દેશ અને રાજ્ય જ્યારે હોળી-ધૂળેટીના રંગોમાં તરબોળ હતું, ત્યારે ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં માતમના દૃશ્યો સર્જાયા છે. મહીસાગરમાં 2 સગા ભાઈ સહિત 5, સુરતના બારડોલીમાં 4, સુરતના માંગરોળ અને અમદાવાદના માંડલમાં 3-3, અરવલ્લીના માલપુર અને ધનસુરામાં તથા મહેસાણાના મોટીદઉમાં 2-2. કડી અને અમરેલીમાં એક-એક એમ ધૂળેટી રમીને નહાવા પડેલા કુલ 23 લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યાં છે. આ ઘટનાઓને પગલે જે પરિવારોમાં સવારે ગુલાલ ઉડતો હતો, ત્યાં સાંજે આક્રંદ જોવા મળ્યો હતો. અમદાવાદની સાબરમતી નદીમાં કુબેરનગરના ચાર યુવકોનું ડુબી જવાથી મોત નિપજ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. PIના ભાઈને પલંગ પર બાંધી લાકડીએ ફટકારી રહેંસી નાખ્યો:સુરત રિહેબ સેન્ટરમાં ક્રૂરતાપૂર્વક માર મારી હત્યા, 4 આરોપીઓએ ગળે મુક્કા માર્યા, કાન પાસે ઝાપટો ઝીંકી પતાવી નાખ્યો સુરત શહેરના ડુમસ રોડ પર સુલતાનાબાદ ખાતે આવેલા 'રિવા વ્યસન મુક્તિ અને રિહેબ સેન્ટર'માં માનવતાને શર્મસાર કરતી અને કાયદો-વ્યવસ્થાને પડકારતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વ્યસન મુક્તિની સારવાર માટે આવેલા 32 વર્ષીય યુવક ધવલ જયંતીભાઈ રાઠોડની સંસ્થાના કાઉન્સિલરો અને ડ્રાઈવરે ભેગા મળીને કરપીણ હત્યા કરી નાખી છે. મૃતક ધવલભાઈ પોલીસ ઇન્સ્પક્ટરના ભાઈ હતા, તેમ છતાં આ નરાધમોએ જરા પણ ખૌફ રાખ્યા વગર તેમને તાલિબાની સજા આપી મોતને ઘાટ ઉતારી દીધા છે. ચારેય આરોપીની ધરપકડ કરાઈ છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : ઓડિશા, 48 વર્ષ પછી જગન્નાથ મંદિરના રત્નોની ગણતરી:RBI ની દેખરેખ હેઠળ ભંડારમાં 25 માર્ચથી ગણતરી, રજીસ્ટર થયેલા સોની પણ હાજર રહેશે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ઈરાન-ઈઝરાયેલ યુદ્ધને કારણે બાસમતી ચોખાની નિકાસ અટકી:ફાઝિલ્કાથી મોકલાયેલા લાખો ટન ચોખા ફસાયા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુટ્યુબ સબ્સ્ક્રાઇબર્સ 3 કરોડ:ટ્રમ્પ કરતાં 7 ગણા વધુ; ઇન્સ્ટાગ્રામ પર પણ 10 કરોડ ફોલોઅર્સ સાથે ટોપ લીડર વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : જાપાનના કોડો ગ્રુપની વર્લ્ડ ટૂર:ડ્રમ માસ્ટર્સ બનવા માટે 2 વર્ષ ફોન-ઇન્ટરનેટ વિના રહેવું પડે છે, પોતાનું ભોજન જાતે બનાવે છે, પેરિસ પહોંચ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે અમેરિકી બજાર 400 અંક ઘટ્યું:48,501ના સ્તરે બંધ થયું; ટ્રમ્પના એક નિવેદનથી બજારમાં રિકવરી આવી વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલ મેચમાં ગેફની અને પાલેકર ફિલ્ડ અમ્પાયર હશે:મુંબઈમાં મેચ રમાશે; ભારતના નિતિન પ્રથમ સેમિફાઇનલમાં થર્ડ અમ્પાયર હશે વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ મથુરાની 150 વર્ષ જૂની ખાસડાં માર હોળી મથુરામાં 150 વર્ષ જૂની ખાસડાં માર હોળી રમવામાં આવી. આ અનોખી હોળીમાં વડીલો પોતાનાથી નાનાઓને જૂતા અથવા ચપ્પલ મારીને આશીર્વાદ આપે છે. તેને અપમાન નહીં, પરંતુ સ્નેહ, શુભેચ્છા અને સંસ્કારોનું પ્રતીક માનવામાં આવે છે. આ પરંપરા અંગ્રેજોના અત્યાચારોના વિરોધમાં શરૂ થઈ હતી. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. પારકી પંચાત : રાજકોટના મેયરે કોનું નામ લેવાનું ટાળ્યું?:વિરોધને ‘ષડયંત્ર’ ગણાવી સાંકેતિક ઈશારો કર્યો; બાપુએ કિર્તી પટેલને ધારાસભ્ય બનવાના આશીર્વાદ આપ્યા! 2. ગ્રાઉન્ડ રિપોર્ટ : મોરબી સિરામિક ઉદ્યોગ બંધ થવાના આરે:પ્રોપેન ગેસ સપ્લાય ખોરવાયો, કારખાનેદારોને કરોડોનું નુકસાન, લાખો શ્રમિકોની રોજગારી સંકટમાં, ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર 3. જે પ્રેમીમાં ઓતપ્રોત બની, તેણે જ પ્રોત પ્રકાશ્યું:બે દીકરીને લઈને કામિની પિયર ચાલી ગઈ, શરાબી પતિ પીછો કરતો રહ્યો ને અંતે જીવતી સળગાવી 4. ચૂંટણીમાં ફેક વીડિયો, PM મોદી-અમિતાભ બચ્ચન માંગી રહ્યા છે વોટ:આ વખતે બાલેન સરકારના આસાર, સરકાર બનાવવા જેવી બેઠકો કોઈને નહીં 5. તુર્કીથી આવેલી મીઠાઈ 'ગુજિયા' હોળીનો ભાગ કેવી રીતે બની:ભાંગ, રંગ ને પિચકારીની પણ અનોખી કહાની, બ્રિટીશર્સ કેવી રીતે મનાવતા હતા હોળી? 6. આજનું એક્સપ્લેનર:શું ખામેનીને મારીને અમેરિકા-ઇઝરાયલે ભૂલ કરી?, અપેક્ષા કરતાં વધુ ઈરાનની તૈયારી; આખરે યુદ્ધ કેટલા દિવસ ચાલશે કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ:કન્યા રાશિના ચંદ્રમાં મેષ-સિંહને મળશે મોટી સફળતા, વૃશ્ચિક-કુંભના અટકેલા કાર્યો થશે પૂર્ણ વાંચો સંપૂર્ણ રાશિફળ

દિવ્ય ભાસ્કર 5 Mar 2026 5:00 am

સુરેન્દ્રનગર પોલીસે કાર બોનેટ પર રીલ બનાવનારને પકડ્યા:રિવરફ્રંટ નજીક રોફ જમાવતો વીડિયો વાયરલ કરવો ભારે પડ્યો

સુરેન્દ્રનગર શહેરમાં રિવરફ્રંટ નજીક કારના બોનેટ પર બેસીને રીલ બનાવવી ત્રણ મિત્રોને ભારે પડી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ બી ડિવિઝન પોલીસે ત્રણેય યુવકો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના એમ.પી. શાહ આર્ટ્સ કોલેજના ઢાળ પાસે આવેલા શ્રીમદ રાજચંદ્ર સર્કલ નજીક નવા બનેલા રિવરફ્રંટ ખાતે બની હતી. યુવકો GJ-09-BD-4457 નંબરની અલ્ટો કારના બોનેટ પર બેસીને રોફ જમાવતા જોવા મળ્યા હતા. વઢવાણના ઉપાસના સર્કલ પાસે દૂધની ડેરી નજીક રહેતા નટુભાઈ બચુભાઈ દેથરીયા અને તેમના મિત્રોએ આ વીડિયો બનાવ્યો હતો. તેમણે કારના બોનેટ પર બેસીને જાહેર માર્ગ પર ગાડી ચલાવી હતી અને તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ વાયરલ વીડિયો સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસના ધ્યાને આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ત્રણેય મિત્રોને શોધી કાઢી પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 10:31 pm

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે અસ્મિતા લીગનું આયોજન:સુરેન્દ્રનગરમાં નારી શક્તિનો ઉત્સવ, એથ્લેટિક્સ સ્પર્ધાઓ સહિત અન્ય મનોરંજક પ્રવૃત્તિઓનો સમાવેશ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર દ્વારા અસ્મિતા લીગ (Achieving Sports Milestone by Inspiring Women Through Action) નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પહેલ જિલ્લા પ્રશાસન, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI), MY Bharat અને જિલ્લા રમતગમત કચેરીના સંકલનથી યોજાશે. અસ્મિતા લીગ એ ખેલો ઇન્ડિયા યોજના હેઠળ Sports for Women ને પ્રોત્સાહન આપતી એક મુખ્ય પહેલ છે. તેનો મુખ્ય હેતુ દેશભરની દીકરીઓ અને મહિલાઓમાં રમતગમત પ્રત્યે વ્યાપક ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે. આ લીગમાં 100 મીટર, 200 મીટર અને 400 મીટર દોડ જેવી એથ્લેટિક્સ સ્પર્ધાઓ તેમજ અન્ય મનોરંજક પ્રવૃત્તિઓનો સમાવેશ થશે. સ્પર્ધા ત્રણ વય જૂથોમાં યોજાશે: અન્ડર-13 વર્ષ, 13 થી 18 વર્ષ અને 18 વર્ષથી વધુ. સુરેન્દ્રનગર જિલ્લામાં આ સ્પર્ધા 8 માર્ચ, 2026 ના રોજ જિલ્લા સ્પોર્ટ્સ કોચિંગ સેન્ટર, લીમડી ખાતે યોજાશે. તમામ ભાગ લેનારોએ સવારે 7:30 વાગ્યે રિપોર્ટિંગ કરવાનું રહેશે. જિલ્લાની તમામ દીકરીઓ અને મહિલાઓને આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા વિનંતી કરવામાં આવી છે. અસ્મિતા લીગ માત્ર એક સ્પર્ધા નથી, પરંતુ રમતગમત દ્વારા આત્મવિશ્વાસ, હિંમત અને મહિલા સશક્તિકરણનો ઉજાસ ફેલાવવાનું એક માધ્યમ છે. તમામ શાળાઓ, મહાવિદ્યાલયો, વાલીઓ અને સમાજના આગેવાનોને અપીલ છે કે તેઓ દીકરીઓ અને મહિલાઓને નોંધણી માટે પ્રોત્સાહિત કરે અને આ પ્રતિષ્ઠિત પહેલમાં સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરે. નોંધણી માટે mybharat.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકાય છે અથવા પ્રદાન કરેલા QR કોડને સ્કેન કરી શકાય છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 9:45 pm

મોરબીમાં આપઘાતના બે બનાવ:લાલપર પાસે યુવાન, મકનસરમાં યુવતીએ ગળાફાંસો ખાધો

મોરબી જિલ્લામાં આપઘાતના બે અલગ-અલગ બનાવ સામે આવ્યા છે. લાલપર ગામ પાસે એક યુવાને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે, જ્યારે મકનસર ગામે એક યુવતીએ પણ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. બંને ઘટનાઓની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રથમ બનાવ મોરબીના લાલપર ગામ પાસે આવેલી ઇપોસ સ્ટાઈલ કોલોનીના લેબર ક્વાર્ટરમાં બન્યો હતો. અહીં રહેતા 21 વર્ષીય નીરજ ઓમાન નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાની ઓરડીમાં ગળાફાંસો ખાઈ લીધો હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. આ ઘટના અંગે સાગરભાઈ શાંતિલાલ વરમોરાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી. પોલીસે આપઘાતનો ગુનો નોંધી મૃતક યુવાને કયા કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં તપાસ શરૂ કરી છે. બીજો બનાવ મોરબી-વાંકાનેર હાઈવે રોડ પર આવેલા મકનસર ગામે બન્યો હતો. અહીં રહેતા બીપીનભાઈની 20 વર્ષીય દીકરી રિયાબેને કોઈ કારણોસર પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. યુવતીના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ મારફતે આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 9:43 pm

SP યુનિવર્સિટીમાં નેશનલ કોન્ફરન્સ:50થી વધુ પેપર્સ રજૂ, નિષ્ણાતોએ કહ્યું: ભારતીય વારસા પર સંશોધન કરો

સરદાર પટેલ યુનિવર્સિટીના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેલ (RDC) દ્વારા તાજેતરમાં બે દિવસીય 'રિસર્ચ સ્કોલર્સ મીટ 2026'નું આયોજન કરાયું હતું. PM-USHA દ્વારા પ્રાયોજિત આ નેશનલ કોન્ફરન્સમાં હ્યુમેનિટીઝ અને સોશિયલ સાયન્સના આંતરશાખાકીય સંશોધનો પર ચર્ચા કરવામાં આવી હતી. આદિ શંકરાચાર્ય ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણવિદોએ માતૃભાષા અને ભારતીય જ્ઞાન પરંપરાને સંશોધનનો પાયો બનાવવા પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમની શરૂઆત યુનિવર્સિટી ગીત અને દીપ પ્રાગટ્ય સાથે થઈ હતી. ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય વક્તા ડૉ. ઓમ જી ઉપાધ્યાયે જણાવ્યું કે માતૃભાષા સાથે ક્યારેય સમાધાન ન થઈ શકે અને બાળકોને પોતાની ભાષામાં શીખવવામાં આવે તો જ તેમની સર્જનાત્મકતા ખીલે છે. કુલપતિ પ્રો. નિરંજન પટેલે સંશોધકોને 'કોપી-પેસ્ટ'ની પ્રવૃત્તિથી દૂર રહી ગૌરવશાળી ભારતીય વારસા પર મૌલિક સંશોધન કરવા પ્રેરિત કર્યા હતા. પ્લીનરી સેશનમાં ડૉ. પ્રફુલ કેતકરે એકાત્મ દ્રષ્ટિ અને ભારતીય જ્ઞાન પરંપરા વિશે ઊંડાણપૂર્વક વાત કરી હતી. ત્યારબાદ યોજાયેલા સંશોધન પત્ર પ્રસ્તુતિ સત્રોમાં 50થી વધુ વિદ્યાર્થીઓએ તેમના પેપર્સ રજૂ કર્યા હતા. આ સત્રોમાં પ્રો. ભરત પંડ્યા, પ્રો. હિતેશ પટેલ, ડૉ. સ્નેહા બજાજ અને અન્ય તજજ્ઞોએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. કોન્ફરન્સના બીજા દિવસે ડૉ. દીપેશ કાટીરાએ સંસ્કૃત અને આધુનિક ભાષાઓના આંતર-સંબંધો સમજાવ્યા. પ્રો. કમલ મહેતાએ સાહિત્ય દ્વારા સામાજિક સમસ્યાઓના ઉકેલ પર પ્રકાશ પાડ્યો હતો. અંતિમ સત્રમાં ડૉ. દિલીપ બરાડે AI ના યુગમાં માનવીય અસ્તિત્વ અને ડિજિટલ હ્યુમેનિટીઝ વિશે માહિતી આપી હતી. સમાપન સત્રમાં મુખ્ય અતિથિ મિતેશ જેસ્વાલે સંશોધકોને પાયાની સમસ્યાઓ ઉકેલવા પર ભાર મૂકવા જણાવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને 'શીલ્ડ' આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રથમ ક્રમે વિક્રમકુમાર ગોહેલ, લોપા રાવલ, ભાર્ગવ કાપડી, બબિતા દ્વિવેદી, જીમલ પટેલ અને શેખ ઈમરોઝબાનુ વિજેતા રહ્યા હતા. દ્વિતીય ક્રમે જ્યોતિ શર્મા, પ્રાંજલ પંડ્યા, નેહા પરમાર, શશાંક પટેલ, રાજેશ હેગડે, જાગૃતિબેન રાઓલજી અને સૌરવ કોટાડિયા વિજેતા બન્યા હતા. તૃતીય ક્રમે ચિરાગ શર્મા અને રુત્વી શાહ વિજેતા જાહેર થયા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા કન્વીનર પ્રો. પારુલ પોપટ, પ્રો. વસંત પટેલ, પ્રો. અરુણ આનંદ અને અંજુમ દિવાન સહિતના પીએચ.ડી. શોધકર્તાઓની ટીમે જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 9:33 pm

હોળીના તહેવારમાં જુગારીઓ પર પોલીસની તરાપ:વરતેજમાં ખીજડાના ઝાડ નીચે જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા; રોકડ અને ગંજીપત્તા જપ્ત

ભાવનગર વરતેજ પોલિસે નવાગામ (ચિરોડા) પાવર હાઉસના પાછળના ભાગે ખીજડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં દરોડો પાડી જાહેરમાં હારજીતનો જુગાર રમતા 5 શખ્સોને ગંજીપત્તા અને રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. તમામ વિરુદ્ધ વરતેજ પોલીસ મથકમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમુક શખસો જાહેરમાં જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળીવરતેજ પોલિસ મથકેથી મળતી માહિતી અનુસાર, વરતેજ પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોળીના તહેવારને લઈ પેટ્રોલિંગમાં હતા.તે દરમિયાન બાતમી મળી કે, નવાગામ (ચિરોડા) પાવર હાઉસની પાછળના ભાગે આવેલા ખીજડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેર જગ્યામાં કેટલીક વ્યક્તિઓ ગંજીપત્તાના પાના વડે હાર-જીતનો જુગાર રમે છે. જુગાર રમતાં 5 શખસોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીપોલીસને મળેલી બાતમી આધારે, સ્થળ પર રેડ કરી અને તપાસ દરમિયાન શૈલેષ હિમતભાઈ મકવાણા રહે.નવાગામ (ચિરોડા), રાહુલ રમેશભાઈ મેર રહે. નવાગામ (ચિરોડા), શૈલેષ કલાભાઈ ડાભી રહે. કરદેજ ગામ, ભરત શૈલેષભાઈ ગોહેલ રહે. નવાગામ (ચિરોડા), ડાયા માવજીભાઈ મેર રહે. નવાગામ (ચિરોડા)ના રહેવાસીઓને ગંજીપત્તા અને રોકડ રૂ. 2410 સાથે ઝડપી પાડવામાં આવ્યા. કુલ 2410નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી અને શખ્સો વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 9:27 pm

મોડાસામાં રશિયન પર્યટકોએ ધુળેટીની ઉજવણી કરી:સ્થાનિક પરિવાર સાથે રંગોત્સવમાં જોડાયા, ભારતીય સંસ્કૃતિનો અનુભવ કર્યો

અરવલ્લીના મોડાસામાં આ વખતે ધુળેટી પર્વ ખાસ બની રહ્યો. રશિયાના મોસ્કો સ્થિત MBBS કોલેજના પ્રોફેસર સહિત સાત પર્યટકોએ સ્થાનિક પરિવાર સાથે રંગોના આ મહાઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરી.આ વિદેશી મહેમાનો ભારત પ્રવાસે આવ્યા હતા. ગુજરાતના વિવિધ સ્થળોની મુલાકાત લીધા બાદ તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા હતા. ત્યાંથી ખાસ ધુળેટી ઉજવવા માટે તેઓ મોડાસા પહોંચ્યા હતા. મોડાસાની એક સોસાયટીમાં આવેલા એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર ડૉ. પ્રશાંત મોદીના નિવાસસ્થાને આ રંગોત્સવનું આયોજન કરાયું હતું. તેમની દીકરી પલ મોદીને મોસ્કોમાં એડમિશન લેતી વખતે આ રશિયન પ્રોફેસરો સાથે પરિચય થયો હતો. આ સંબંધને વધુ મજબૂત બનાવવા રશિયન મહેમાનો ભારતીય સંસ્કૃતિને અનુસરીને સાડી પહેરીને ઉત્સવમાં જોડાયા હતા. તેમણે એકબીજાને અબીલ-ગુલાલ અને રંગબેરંગી રંગો લગાવ્યા હતા. ભારતીય પરંપરા સાથે એકબીજાના રાષ્ટ્રધ્વજ સાથે તેઓ ઉત્સવની ભાવનામાં સંપૂર્ણપણે રંગાઈ ગયા હતા. સંગીત, હાસ્ય અને ઉત્સાહ વચ્ચે ઉજવાયેલી આ ધુળેટીએ સંસ્કૃતિઓ વચ્ચે મિત્રતા અને સૌહાર્દનો સંદેશ આપ્યો. વિદેશી મહેમાનો માટે આ માત્ર એક તહેવાર નહોતો, પરંતુ ભારતીય સંસ્કૃતિને નજીકથી સમજવાનો એક અનોખો અવસર હતો. મોડાસામાં રશિયનોએ ઉજવેલો આ ધુળેટી પર્વ લાંબા સમય સુધી યાદગાર બની રહેશે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 9:13 pm

સિનિયર સિટિઝનને ટાર્ગેટ કરતી રીક્ષા ગેંગ ઝડપાઇ:મુન્દ્રા પોર્ટમાં કોપર અને એલ્યુમિનિયમ વાયરની ચોરી કરનાર ત્રણ ઝડપાયા, 45 લાખનો વાયરનો ભંગાર અને ટ્રક સહિત 57 લાખનો મુદ્દામાલ કબ્જે

કચ્છના મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અદાણી પોર્ટમાં થયેલી એલ્યુમીનીયમ અને કોપર વાયરની ચોરીનો ભેદ રાજકોટ ક્રાઈમ બ્રાંચે ઉકેલી રાજસ્થાન, મુન્દ્રા અને સુરેન્દ્રનગરનાં ત્રણ આરોપીઓને ઝડપી પાડી કુલ 57 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ટિમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજકોટ મોરબી હાઇવે પરથી ટ્રકને અટકાવી ટ્રકમાં સવાર જેતારામ પોકરરામ બલીયારા (ઉ.વ.50), પ્રિતેશ અમૃતલાલ રામાણી (ઉ.વ.28) અને યુવરાજસિંહ નટુભા ઝાલા (ઉ.વ.32)ને પકડી પાડી રૂ.45 લાખની કિંમતનો એલ્યુમિનિયમ અને કોપર વાયરનો ભંગાર, ટ્રક અને કન્ટેનર મળી રૂ.57 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ મામલે મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં રૂ.5 લાખની કિંમતનો 10 ટન સ્ક્રેપની ચોરી થવા મામલે ફરિયાદ નોંધાઈ છે. સિનિયર સિટિઝનને ટાર્ગેટ કરતી રીક્ષા ગેંગ ઝડપાઈરાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ટિમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે ચોક્કસ બાતમીના આધારે રીક્ષા ગેંગને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ શહેરમાં સિનિયર સિટિઝનને ટાર્ગેટ કરી રિક્ષામાં બેસાડી નજર ચૂકવી રોકડ તેમજ સોના ચાંદીના ઘરેણાં ઓળવી લેતી ગેંગના ત્રણ સભ્યો કુલદીપ પરમાર, રાજેશ પરમાર અને અશ્વિન મીઠાપરાને ઝડપી પાડી તેની પાસેથી સોનાનો ચેન, સોનાનું પેન્ડલ સોનાનો પાટલો અને એક રીક્ષા મળી કુલ 4.82 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માદક પદાર્થ કેસમાં અગાઉ ઝડપાયેલા આરોપી વિરુદ્ધ PIT હેઠળ કાર્યવાહીરાજકોટ શહેર વિસ્તારમાં અગાઉ ગેરકાયદેસર માદક પદાર્થના જથ્થા સાથે પકડાયેલા ઇસમો વિરૂદ્ધ PIT NDPS કાયદા હેઠળ દરખાસ્તો તૈયાર કરવા સૂચના મળતા શહેર SOG દ્વારા કિશન સુરેશભાઈ નાયડુ (ઉ.વ.19) વિરુદ્ધ વોરન્ટ ઇશ્યુ કરતા હુકમની બજવણી કરવામાં આવી હતી. જેથી આજરોજ SOG દ્વારા કિશન સુરેશભાઈ નાયડુની અટકાયત કરી સુરત લાજપોર જેલ હવાલે કરવામાં આવ્યો છે. આરોપી કિશન સુરેશભાઈ નાયડુ વિરુદ્ધ અગાઉ વર્ષ 2025માં પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ ચુકી હોવાનું સામે આવ્યું છે. PCBએ 1.24 લાખના દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો રાજકોટ શહેર PCB ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મવડી પાળ રોડ પર શ્રીરામ ચોક પાસે એક ઓટો રિક્ષામાંથી આરોપી ઋત્વિક ઉર્ફે રઘો જીપ્લોટ (ઉ.વ.22)ને રૂપિયા 1.24 લાખની 180 MLની 432 વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં વધુ બે આરોપી વિજય ઉર્ફે ટીટો ભટ્ટી અને તુષાર ઓડનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે. હાલ પોલીસે કુલ 1.64 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 9:02 pm

વડોદરાના વિશ્વકર્મા મંદિરમાં ધુળેટીની ઉજવણી:ભક્તિભાવ અને કીર્તન સાથે પાવન પ્રસંગ ભવ્ય રીતે ઉજવાયો

વડોદરાના ન્યાલકરણ વ્યુ સામે, ખોડીયાર નગર સ્થિત શ્રી વિશ્વકર્મા મંદિરમાં વિશ્વકર્મા સમાજ દ્વારા ધુળેટીનો પાવન પ્રસંગ ભક્તિભાવ અને આનંદ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ અવસરે મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના અને આરતીનું આયોજન કરાયું હતું. આ પાવન અવસરે ભક્તોએ ધુળેટીના કીર્તનોની રમઝટ સાથે ભક્તિમય માહોલ સર્જ્યો હતો. રંગો અને આનંદ વચ્ચે ભજન-કીર્તન દ્વારા સૌએ વિશ્વકર્મા દાદાને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કર્યો. મંદિર પરિસર ભક્તિ, ઉત્સાહ અને શ્રદ્ધાથી ગુંજી ઉઠ્યું હતું, અને સૌએ આનંદપૂર્વક આ પવિત્ર તહેવારની ઉજવણી કરી હતી. ભક્તોએ એકબીજાને રંગ લગાવીને ધુળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી. વિશ્વકર્મા મંદિરના પ્રમુખ રામગણેશ વિશ્વકર્માએ આ પ્રસંગે જણાવ્યું હતું કે સમાજની અંદર ભાઈચારો અને એકતા વધે તે હેતુથી દર વર્ષે ધુળેટીનો કાર્યક્રમ આયોજન કરવામાં આવે છે. આવા પાવન પ્રસંગો સમાજને એક મંચ પર લાવી પરસ્પર સ્નેહ અને સૌહાર્દ મજબૂત બનાવે છે. આ કાર્યક્રમમાં વિશ્વકર્મા સમાજના ઉપપ્રમુખ પન્નાલાલ વિશ્વકર્મા તેમજ કમિટી સભ્યો, સમાજના સભ્યો અને ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સૌએ મળીને આનંદ અને ભક્તિભાવ સાથે ધુળેટીનો તહેવાર ઉજવી સમાજમાં એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો. કાર્યક્રમના અંતે પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 8:40 pm

ગુજરાતમાં ધૂળેટીના પર્વે ઈમરજન્સી કેસોમાં વધારો:સાંજે 6 વાગ્યા સુધીમાં 3,796 કેસ નોંધાયા; સુરતમાં 50% તો અરવલ્લીમાં 63%નો ધરખમ ઉછાળો

આજે રાજ્યમાં ધૂળેટીના પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી, પરંતુ આ ઉજવણી વચ્ચે રાજ્યમાં ઈમરજન્સી કેસોની સંખ્યામાં પણ મોટો વધારો જોવા મળ્યો છે. આજે સાંજે 6 વાગ્યા સુધીના મળેલા આંકડાઓ મુજબ, સમગ્ર રાજ્યમાં ઈમરજન્સી સેવાઓ પર ભારણ વધ્યું છે. આજે સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યભરમાં કુલ 3,796 ઈમરજન્સી કેસો નોંધાયા છે. સામાન્ય દિવસો કરતા ઈમરજન્સી કેસોમાં ઉછાળોસામાન્ય દિવસોમાં સરેરાશ 3,266 કેસો નોંધાતા હોય છે, જેની સરખામણીએ આજે 530 વધુ કેસો નોંધાયા છે. એટલે કે રાજ્યમાં કુલ 16.22% નો વધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ 723 કેસો સાથે યાદીમાં સૌથી વધુ છે. સુરતમાં કેસોમાં ધરખમ 50.93%નો વધારો નોંધાયો છે (કુલ 455 કેસ). અરવલ્લીમાં ટકાવારીની દ્રષ્ટિએ અરવલ્લીમાં સૌથી વધુ 63.39%નો ઉછાળો જોવા મળ્યો છે. અન્ય જિલ્લાઓની વાત કરીએ તો, મોરબી, તાપી અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓમાં પણ સામાન્ય દિવસો કરતા વધુ ઈમરજન્સી કેસો સામે આવ્યા છે. તમામ ઈમરજન્સી સેવાઓને એલર્ટ પર રાખવામાં આવીકેટલાક જિલ્લાઓ જેમ કે જૂનાગઢ, આણંદ અને સુરેન્દ્રનગરમાં સામાન્ય દિવસો કરતા કેસોમાં ઘટાડો પણ જોવા મળ્યો છે. તહેવારના દિવસે માર્ગ અકસ્માતો, મારામારી અને અન્ય તબીબી ઈમરજન્સીને કારણે આ આંકડો વધ્યો હોવાનું અનુમાન છે. તંત્ર દ્વારા તમામ ઈમરજન્સી સેવાઓને એલર્ટ પર રાખવામાં આવી છે. જાણો ક્યાં શહેરોમાં કેટલા કેસ નોંધાયાઅમદાવાદમાં સૌથી વધુ 723 કેસો નોંધાયા છે, જ્યારે સુરતમાં 455 અને વડોદરામાં 195 કેસો નોંધાયા છે. રાજકોટમાં 191, દાહોદમાં 139, વલસાડમાં 135 અને કચ્છ જિલ્લામાં 134 ઈમરજન્સી કેસો સામે આવ્યા છે. ભાવનગરમાં આ આંકડો 110 રહ્યો છે, જ્યારે જામનગરમાં 104 અને ગાંધીનગરમાં 94 કેસો નોંધાયા છે. પંચમહાલમાં 88, તેમજ તાપી અને છોટાઉદેપુર બંને જિલ્લામાં 87-87 કેસો નોંધાયા છે. ભરૂચમાં 86, ખેડામાં 84 અને મોરબીમાં 83 કેસો નોંધાયા છે. તે જ રીતે અમરેલીમાં 80, બનાસકાંઠામાં 79, મહેસાણામાં 78, જૂનાગઢમાં 76 અને સાબરકાંઠામાં 75 કેસોની એન્ટ્રી થઈ છે. આણંદમાં 66, દેવભૂમિ દ્વારકામાં 62 અને અરવલ્લીમાં 61 કેસો નોંધાયા છે. જ્યારે નવસારીમાં 60, જ્યારે મહીસાગર અને નર્મદામાં 57-57 કેસો નોંધાયા છે. સુરેન્દ્રનગરમાં 54, પાટણમાં 47, ડાંગ અને પોરબંદરમાં 44-44 કેસો નોંધાયા છે. ગીર સોમનાથમાં 38 અને બોટાદમાં સૌથી ઓછા 23 ઈમરજન્સી કેસો નોંધાયા છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 8:26 pm

બોટાદમાં સ્વામિનારાયણ મંદિરે વિરાટ હિન્દુ સંમેલન:સંતો-મહંતો સહિત મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જોડાયા

બોટાદના રજપુત ચોરા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરે વિરાટ હિન્દુ સંમેલન યોજાયું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપનાના શતાબ્દી વર્ષ નિમિત્તે દેશભરમાં આયોજિત હિન્દુ જાગરણ કાર્યક્રમોના ભાગરૂપે આ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં અનેક સંતો-મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમાં ભજનાનંદ આશ્રમથી આત્માનંદ સરસ્વતી, સ્વામિનારાયણ ગુરુકુળથી માધવ સ્વરૂપદાસજી, નવહથ્થા હનુમાનજી મંદિરથી નિર્મળાનંદ સરસ્વતી, મહાકાળી ધામથી ભાવેશ બાપુ, શનિદેવ મંદિરથી જમનાદાસ બાપુ અને દીપચંડી આશ્રમથી મહાસુખાનંદ બાપુનો સમાવેશ થાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય સંતો પણ હાજર રહ્યા હતા. બોટાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો આ કાર્યક્રમમાં જોડાયા. વિશ્વ હિન્દુ પરિષદના ધર્મજાગરણ રાષ્ટ્રીય સહમંત્રી ધર્મેન્દ્રભાઈ ભાવાણી અમદાવાદથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે લોકોને ધર્મ પ્રત્યે જાગૃત કરવા માટે સંબોધન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 8:19 pm

વલસાડમાં જર્જરિત સેવા સદન-1 તોડવાની કામગીરી શરૂ:વર્ષો જૂની ઇમારત ભયજનક જાહેર થતા ડિમોલિશન હાથ ધરાયું

વલસાડ શહેરમાં વર્ષો જૂનું સેવા સદન-1 હવે ભૂતકાળ બનશે. સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટમાં જર્જરિત અને ભયજનક જાહેર કરાયા બાદ, તંત્ર દ્વારા તેને તોડી પાડવાનો નિર્ણય લેવાયો હતો. આજે કોન્ટ્રાક્ટર દ્વારા સુરક્ષાના સાધનો સાથે ડિમોલિશનની કામગીરી વિધિવત રીતે શરૂ કરવામાં આવી છે. આ સાથે જ નવી આધુનિક બિલ્ડિંગ માટેનો માર્ગ મોકળો થયો છે. ડિમોલિશન સ્થળે એજન્સી દ્વારા મશીનરી અને મજૂરો તૈનાત કરવામાં આવ્યા છે. કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે, બિલ્ડિંગના વધુ જોખમી હિસ્સાઓને પ્રાથમિકતા આપીને ઉતારવામાં આવી રહ્યા છે. આસપાસના વિસ્તારમાં અવરજવર કરતા લોકોને કોઈ તકલીફ ન પડે અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. આ ઇમારતને તોડી પાડવાનો નિર્ણય તેની જર્જરિત અવસ્થાને કારણે લેવાયો છે. બિલ્ડિંગના સ્લેબ અને પિલરમાં તિરાડો પડી ગઈ હતી, જેના કારણે તે ગમે ત્યારે ધરાશાયી થવાની સ્થિતિમાં હતી. રોજેરોજ સેંકડો અરજદારોની અવરજવર રહેતી હોવાથી મોટી જાનહાનિનું જોખમ હતું. આ જગ્યા ખાલી થયા બાદ ત્યાં નવા સુવિધાસભર સરકારી સંકુલના નિર્માણની શક્યતાઓ છે. કામગીરી સંભાળી રહેલા કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે, અમે અત્યાધુનિક મશીનરીની મદદથી બિલ્ડિંગને સુરક્ષિત રીતે તોડી રહ્યા છીએ. કાટમાળ ખસેડવાની કામગીરી પણ સાથે જ ચાલશે જેથી ટ્રાફિક કે ધૂળની સમસ્યા ન રહે. હાલમાં સેવા સદન-1 ની તમામ કચેરીઓ અન્યત્ર ખસેડવામાં આવી છે. બિલ્ડિંગ સંપૂર્ણ ધરાશાયી થયા બાદ આ વિશાળ જગ્યાનો ઉપયોગ નવા પ્રોજેક્ટ માટે કરવામાં આવશે, જેનાથી વલસાડના વહીવટી માળખાને નવું બળ મળશે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 8:12 pm

PIના ભાઈને પલંગ પર બાંધી લાકડીએ ફટકારી રહેંસી નાખ્યો:સુરત રિહેબ સેન્ટરમાં ક્રૂરતાપૂર્વક માર મારી હત્યા, 4 આરોપીઓએ ગળે મુક્કા માર્યા, કાન પાસે ઝાપટો ઝીંકી પતાવી નાખ્યો

સુરત શહેરના ડુમસ રોડ પર સુલતાનાબાદ ખાતે આવેલા 'રિવા વ્યસન મુક્તિ અને રિહેબ સેન્ટર'માં માનવતાને શર્મસાર કરતી અને કાયદો-વ્યવસ્થાને પડકારતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વ્યસન મુક્તિની સારવાર માટે આવેલા 32 વર્ષીય યુવક ધવલ જયંતીભાઈ રાઠોડની સંસ્થાના કાઉન્સિલરો અને ડ્રાઈવરે ભેગા મળીને કરપીણ હત્યા કરી નાખી છે. મૃતક ધવલભાઈ પોલીસ ઇન્સ્પક્ટરના ભાઈ હતા, તેમ છતાં આ નરાધમોએ જરા પણ ખૌફ રાખ્યા વગર તેમને તાલિબાની સજા આપી મોતને ઘાટ ઉતારી દીધા છે. ચારેય આરોપીની ધરપકડ કરાઈ છે. માત્ર દવા લેવાની ના પાડતા કાઉન્સિલર જિગ્નેશનો પિત્તો ગયોઘટનાની શરૂઆત ગત 1 માર્ચ 2026ના રોજ રાત્રે 9 વાગ્યાના અરસામાં થઈ હતી. ધવલ રાઠોડને વ્યસન મુક્તિની સારવાર માટે 28 ફેબ્રુઆરીએ જ ડુમસના સુલતાનાબાદ સ્થિત 'રિવા વ્યસન મુક્તિ અને રિહેબ સેન્ટર'માં સારવારમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારની રાત્રે સંસ્થાના કાઉન્સિલર જિગ્નેશ ભાસ્કરભાઈ દેસાઈ ધવલ પાસે ગયા હતા અને તેમને સારવારની ગોળીઓ લેવા જણાવ્યું હતું. ધવલે આ ગોળીઓ લેવાની ના પાડતા જ જિગ્નેશ એકાએક ઉશ્કેરાઈ ગયો હતો. તેણે કોઈપણ જાતની સમજાવટ વગર ધવલને જોરદાર તમાચો મારી દીધો હતો. આ વાતને લઈને ધવલ અને જિગ્નેશ વચ્ચે ઝપાઝપી શરૂ થઈ હતી. ‘તારા જેવા ઘણાને સીધા કર્યા છે’ ધમકી આપી ચાર શખ્સો તૂટી પડ્યાજ્યારે ધવલે પોતાનો બચાવ કરવા બૂમાબૂમ કરી, ત્યારે નીચેના માળેથી સંસ્થાના અન્ય કાઉન્સિલરો રોહન, શૈલેષ અને સંસ્થાની ગાડીનો ડ્રાઈવર દિલીપ ઉપર દોડી આવ્યા હતા. આ ચારેય જણાએ ધવલ સાથે ગાળાગાળી શરૂ કરી હતી. આરોપી રોહને તો ધવલની આંખમાં આંખ પરોવી ધમકી આપી હતી કે, તારા જેવા ઘણાને મેં સીધા કરી દીધા છે, તારી અમારી સામે થવાની હિંમત કેમ થઈ? આજે તો તને છોડવાનો નથી, તને મારી જ નાખવાનો છે. પલંગ પર ઊંધો સુવડાવી રસ્સીથી હાથ-પગ બાંધી દીધાઆરોપીઓએ ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી. ડ્રાઈવર દિલીપ નીચે જઈ લાકડી લઈ આવ્યો હતો. ત્યારબાદ રોહન, શૈલેષ અને દિલીપે ધવલને પલંગ પર ઊંધો સુવડાવી દીધો હતો. ત્રણેય શખ્સોએ ધવલના હાથ અને પગ એટલી મજબૂતીથી પકડી રાખ્યા હતા કે ધવલ સહેજ પણ હલી શકે તેમ નહોતો. ધવલ કરગરતો રહ્યો અને જિગ્નેશ લાકડીથી ફટકારતો રહ્યોજિગ્નેશ દેસાઈએ દિલીપ પાસેથી લાકડી લઈ ધવલ પર અત્યાચાર શરૂ કર્યો હતો. લાકડીના એક પછી એક ફટકા ધવલના શરીર પર પડવા લાગ્યા હતા. ધવલ આજીજી કરી રહ્યો હતો, મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દો, હવે હું ગોળીઓ લઈ લઈશ. પરંતુ જિગ્નેશના માથે ખૂન સવાર હતું. તેણે ગર્જના કરતા કહ્યું, તું મને ઓળખતો નથી, મારી સામે બોલવાની હિંમત કેમ કરી? જિગ્નેશે ધવલને માથાના ભાગે, કમર પર અને શરીરના અન્ય નાજુક ભાગો પર લાકડીના જીવલેણ ફટકા માર્યા હતા. ગળે મુક્કા અને કાન પર ઝાપટો: એકસાથે ચારેયનો હુમલોમાત્ર લાકડીથી મન ન ભરાતા અન્ય આરોપીઓએ પણ પોતાના હાથ સાફ કર્યા હતા, જેમાં ડ્રાઈવર દિલીપે પલંગ પર બંધાયેલા ધવલના ગળાના ભાગે 4થી 5 જોરદાર મુક્કા માર્યા હતા, જેના કારણે ધવલનો શ્વાસ રૂંધાયો હતો. શૈલેષ તેણે ધવલના ગાલ અને કાનના ભાગે 4થી 5 જોરદાર ઝાપટો ઝીંકી દીધી હતી. રોહન તેણે ધવલની છાતી અને પેટના ભાગે ખુલ્લા હાથના પંજા વડે નિર્દયતાથી હુમલો કર્યો હતો. ચારેય જણાએ ભેગા મળી ધવલને લોહીલુહાણ અને અધમૂવો કરી નાખ્યો હતો. 10:23 વાગ્યે સિવિલના ડોક્ટરે મૃત જાહેર કર્યોસતત માર અને ત્રાસને કારણે ધવલ રાઠોડ બેભાન થઈ ગયો હતો. જ્યારે આરોપીઓને લાગ્યું કે ધવલ હલનચલન નથી કરી રહ્યો, ત્યારે તેમણે 108 એમ્બ્યુલન્સ બોલાવી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચતા સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. ફરજ પરના તબીબોએ તપાસીને રાત્રે 10:23 વાગ્યે ધવલને મૃત જાહેર કર્યો હતો. એક પોલીસ અધિકારીના ભાઈનું આ રીતે કરપીણ મોત થતા પોલીસ બેડામાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. મૃતક ધવલના ભાઈ રાજકોટમાં પીઆઈ છે. ચારેય શખ્સો વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ ગુનોડુમસ પોલીસે આ મામલે ફરિયાદના આધારે આરોપી જિગ્નેશ ભાસ્કરભાઈ દેસાઈ, રોહન, શૈલેષ અને દિલીપ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ હેઠળ હત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, આ ચારેય આરોપીઓએ ભેગા મળીને પૂર્વ આયોજિત કાવતરું રચી ધવલને ગંભીર ઈજાઓ પહોંચાડી તેનું મોત નીપજાવ્યું છે. તમામની ધરપકડ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 8:03 pm

Editor’s View : ધુળેટી પછી નેપાળમાં ચૂંટણીની હોળી:કાલના મતદાન પર ભારતની નજર કેમ?; 10 લાખ નવા મતદારો જેન-ઝી નેતાઓની જ બાજી બગાડી શકે; જાણો ત્રિપાંખિયા જંગની ચોથી બાજુ

આપણે ત્યાં ધુળેટી પૂરી થઈ ગઈ, પણ નેપાળમાં આવતીકાલે એટલે કે 5 માર્ચે ચૂંટણીની હોળી છે. 2008માં રાજાશાહીની સમાપ્તી પછીની નેપાળની સૌથી મોટી બીજી ચૂંટણી છે. પહેલી ચૂંટણી 2017માં થઈ હતી. સપ્ટેમ્બર 2025માં નેપાળના જેન-ઝી તોફાનો થયા. વડાપ્રધાન કેપી શર્મા ઓલી રાજીનામું આપીને ભાગી ગયા. સુશીલા કાર્કી વચગાળાનાં વડાપ્રધાન બન્યાં. આ વખતની ચૂંટણી બે-ત્રણ રીતે મહત્વની છે. એક તો નેપાળમાં જેન-ઝી નેતાઓ પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે. બીજું, ભૂતપૂર્વ વડાપ્રધાનો કેપી શર્મા ઓલી અને પુષ્પકમલ દહલ પ્રચંડ ફરીવાર ચૂંટણી મેદાનમાં છે અને ત્રીજું, એક-બે નહીં 68 પાર્ટીઓ લડે છે. જો ગઠબંધન સરકાર આવી તો ભારત માટે મુશ્કેલી ઊભી થશે. ચીન તરફી વિચારધારાની સરકાર આવી તો પણ ભારતને તકલીફ. આપણા માટે જરૂરી એ છે કે ભારતની પડખે રહે તેવી સરકાર આવે. નમસ્કાર, દાયકા પહેલાં નેપાળ ભારતનો 28મો મોટો બિઝનેસ પાર્ટનર દેશ હતો, આજે 14મો સૌથી મોટો બિઝનેસ પાર્ટનર છે. ભારત નેપાળને 7 અબજ ડોલરથી વધુ કિંમતના માલની નિકાસ કરે છે. તો નેપાળથી 1 અબજ ડોલરથી વધુ કિંમતનો માલ પણ ખરીદે છે. આનો અર્થ એ થયો કે બંને દેશો વચ્ચે 8 અબજ ડોલરથી વધુનો વેપાર થાય છે. ભારતના 5 રાજ્યોની સરહદ નેપાળ સાથે જોડાયેલી છે. નેપાળ ને ભારત વચ્ચે સંબંધો એકસરખા નથી રહ્યા. કોઈરાલા સરકાર વખતે સારા સંબંધો હતા તો ઓલી વખતે સંબંધો બગડ્યા. હવે સ્થિર સરકાર આવે તે ભારત માટે જરૂરી છે. પહેલા નેપાળની ચૂંટણીનું સ્ટ્રક્ટર જાણી લો ભારતમાં નીચલા ગૃહને લોકસભા અને ઉપલા ગૃહને રાજ્યસભા કહે છે. શક્તિ નીચલા ગૃહ પાસે રહે છે. નેપાળની સંસદમાં બે સદન છે. નીચલા ગૃહને પ્રતિનિધિ સભા અને ઉપલા ગૃહને રાષ્ટ્રીય સભા કહે છે. પ્રતિનિધિ સભા ભારતની લોકસભા જેવી જ છે. અસલી શક્તિ તેની પાસે જ હોય છે. પ્રતિનિધિ સભામાં કુલ 275 સીટ છે. 165 સીટ પર સીધું મતદાન અને 110 સીટ પર પ્રપોર્શનલ (અનુપાતિક) મતદાન કરીને ચૂંટણી થાય છે. ત્રણ મુખ્ય ડાબેરી પક્ષોના વડાપ્રધાનની હાલત શું છે? પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીને સત્તાનો મોહ જતો નથી નેપાળમાં 3 મુખ્ય ડાબેરી પક્ષો છે. પૂર્વ વડાપ્રધાન કેપી ઓલીની CPN-UML, પૂર્વ વડાપ્રધાન પ્રચંડની CPN-MC માઓઇસ્ટ સેન્ટર અને ભૂતપૂર્વ પીએમ માધવ કુમારની CPN યુનિફાઇડ સોશિયાલિસ્ટ. ત્રણેય પક્ષોના નેતાઓ ઈચ્છે છે કે આ ટોચના લીડર પાર્ટીથી દૂર રહે કારણ કે તેનાથી પાર્ટીનું વાતાવરણ ખરાબ થાય છે. CPN-UML પ્રમુખ કેપી શર્મા ઓલી છેલ્લા એક દાયકાથી પાર્ટીનું સુકાન સંભાળી રહ્યા છે અને ચાર વખત વડાપ્રધાન રહી ચૂક્યા છે. તેમની પાર્ટીએ ડિસેમ્બર-2025માં બંધારણમાં ફેરફાર કર્યો ને પાર્ટીના પ્રમુખ ઓલીને જ બનાવ્યા. જેન-ઝી તોફાનો વખતે ઓલીના સરકારી આવાસ તેમજ તેમના બે ખાનગી આવાસોને આગ ચાંપી દીધી હતી. તેમના જન્મસ્થળ અથારાથુમમાં પણ આગ લગાવી દીધી. આખરે ઓલીને લશ્કરી બેરેકમાં આશરો લેવો પડ્યો. આ એ જ ઓલી છે જેણે પંચાયતના સમયગાળા દરમિયાન ચૌદ વર્ષ જેલમાં વિતાવ્યા હતા. નેપાળમાં શાંતિ થયા પછી ઓલી ફરી બહાર આવ્યા ને ચૂંટણીની તૈયારીમાં પડી ગયા. તે જાંપાપાસ સીટ પરથી લડે છે. આટઆટલું થયા પછી પણ ઓલીને સત્તાનો મોહ જતો નથી. પૂર્વ વડાપ્રધાન પ્રચંડ આર્મી બેરેકમાં આશરો લઈ રહ્યા છે ઓલી પહેલાં પુષ્પકમલ દહલ પ્રચંડ વડાપ્રધાન હતા. તે પણ ઓલીની જેમ આર્મી બેરેકમાં સારા દિવસોની રાહ જોઈ રહ્યા છે. માઓવાદી અધ્યક્ષ પ્રચંડની સ્થિતિ પણ આવી જ હતી. તે દસ વર્ષ સુધી લોકશાહી માટે લડ્યા. ત્રણ વખત વડાપ્રધાન બન્યા અને 37 વર્ષ સુધી પાર્ટીનું સુકાન સંભાળ્યું. પરંતુ તેમને Gen-Z આંદોલનનું નુકસાન પણ સહન કરવું પડ્યું. 20 વર્ષમાં પહેલીવાર તેમણે સૈન્ય બેરેકમાં આશરો લેવો પડ્યો. તોફાનીઓએ તેમના ઘરને આગ લગાવી દીધી અને બધું જ બરબાદ કરી દીધું. તેમણે પોતાની પાર્ટી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ (મોઓઈસ્ટ સેન્ટર) એટલે CPN-MCને મજબૂત બનાવી છે. 10 પાર્ટી સાથે ગઠબંધન કરીને તે ફરીવાર ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. બે વડાપ્રધાનો જેવી જ હાલત છે ત્રીજા પૂર્વ વડાપ્રધાન માધવકુમારની અન્ય એક ડાબેરી પક્ષ સીપીએન યુનિફાઇડ સોશિયાલિસ્ટ નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન માધવ કુમારની હાલત પણ આવી જ હતી. સપ્ટેમ્બરમાં પ્રદર્શનકારીઓએ તેમના ઘરને પણ આગ લગાવી દીધી હતી. સુરક્ષા કર્મચારીઓએ તેમને બચાવ્યા અને આર્મી બેરેકમાં લઈ ગયા. સીપીએન યુનિફાઇડ સોશિયાલિસ્ટ નેતા ઝાલનાથ ખાનલ જે સુધી CPI-MLના મહાસચિવ હતા અને પછી UMLના પ્રમુખ બન્યા હતા. તે હવે યુનિફાઇડ સોશિયાલિસ્ટ પાર્ટીના વરિષ્ઠ નેતા છે. દલ્લુ ગામમાં તેમના ઘરને પણ પ્રદર્શનકારીઓએ આગ લગાવી દીધી હતી. તેમનાં પત્ની રવિલક્ષ્મી ચિત્રકર ખરાબ રીતે દાઝી ગયાં હતાં. તેમની પાર્ટીમાં ફાંટફૂટ બહુ છે. તેની જ પાર્ટીના નેતાઓ ઈચ્છતા નથી કે માધવકુમાર ફરી ચૂંટણી લડે. આ વખતે ચૂંટણી મહત્વની કેમ? જેન-ઝી પ્રદર્શન દરમિયાન નેપાળના સત્તાધિશોને સમજાઈ ગયું છે કે હવે દેશમાં નીતિગત સુધારા લાવવા પડશે એટલે કોઈપણ પાર્ટી જેન-ઝીને રીઝવવા એડીચોટીનું જોર લગાવશે. એ દ્રષ્ટિએ પણ આ ચૂંટણી મહત્વની બની રહેશે. નેપાળમાં પાર્ટીઓએ છેલ્લા 17-18 વર્ષોમાં માત્ર પોતાના સ્વાર્થો પર ધ્યાન આપ્યું. પાંચ મહિનામાં એક સરકાર, પાંચ મહિના પછી બીજી સરકાર બનવા જેવી સ્થિતિ થઈ. લોકતંત્રને સંભળાવું મુશ્કેલ બની ગયું હતું. મોટા વિધ્વંશ પછી ચૂંટણી થઈ રહી છે એટલે આ ચૂંટણીના પરિણામો નિર્ણાયક રહેશે. જો ગઠબંધનની સરકાર બને છે તો ગઠબંધનમાં કલહ રહેશે. આ ગઠબંધન સરકાર જેન-ઝીની ઈચ્છાઓને પૂરી નહિ કરી શકે એટલે ફરી તોફાનો થવાની સંભાવના વધી જાય છે. ગઠબંધન સરકારના ભારત સાથે સારા સંબંધો નહિ રહે. દેશમાં અસ્થિર સરકાર બનશે તો વિદેશ નીતિ પણ અસ્થિર રહેશે. જરૂરી છે કે આ વખતની ચૂંટણી પછી નેપાળમાં સ્થિર સરકાર આવે. માટે આ વખતે નેપાળની ચૂંટણી મહત્વની બની જાય છે. નેપાળમાં ઓલી અને બાલેન શાહનું ગઠબંધન સંભવ કેટલાક દિવસો પહેલાં ભારતના મનોહર પરિકર ઈન્સ્ટીટ્યૂટ ઓફ ડિફેન્સ સ્ટડીઝ વેબસાઈટ પર નેપાળની ચૂંટણીનું વિશ્વલેષણ કરવામાં આવ્યું. જેમાં લખ્યું હતું કે ચૂંટણીમાં કોઈપણ પાર્ટીને બહુમતી નહિ મળે. કોઈપણ પાર્ટીની સ્પષ્ટ બહુમતીની સંભાવના બહુ ઓછી છે. ચૂંટણી પછી કેપી શર્મા ઓલીની CPN-UML અને બાલેનની રાષ્ટ્રીય સ્વતંત્ર્ય પાર્ટી (RSP) કેન્દ્રમાં રહેવાની આશા છે. CPN-UMLને નેપાળમાં મજબૂત માનવામાં આવે છે. જ્યારે RSPને યંગ સ્ટર્સમાં લોકપ્રિય મનાય છે. બંને પાર્ટીને બહુમત ન મળે તો બંને પાર્ટી ગઠબંધન કરવાના મૂડમાં છે. ઓલી અને બાલેન શાહ સાથે મળીને સરકાર ચલાવે એવું પણ બને. નેપાળની ચૂંટણી પર ભારતની નજર કેમ? નેપાળની ખુલી સરહદો ત્રણ દિશાઓમાં ભારતના પાંચ રાજ્યો સાથે જોડાયેલી છે. ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કીમ. ઉત્તરમાં તિબેટના પઠાર સાથે સરહદના કારણે અહિંની જિયોપોલિટલ સ્થિતિ અને ચીનના વધતા પ્રભાવના કારણે પશ્ચિમી દેશોને પણ રસ બતાવતા રહ્યા છે. 2017માં તત્કાલિન વડાપ્રધાન પુષ્પકમલ દહાલ પ્રચંડની સરકાર ચીનની પરિયોજના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવમાં સામેલ થઈ હતી. બાદમાં 2024ના અંતમાં કેપી શર્મા ઓલીના નેતૃત્વમાં બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવના કરાર પર સહી થઈ. બંને સમયે નેપાળી કોંગ્રેસ ગઠબંધનનો ભાગ હતી. ભારતના 5 રાજ્યોની સરહદ નેપાળ સાથે જોડાયેલી છે….જુઓ મેપ બનારસ હિન્દુ યુનિવર્સિટીના નેપાળ અધ્યયન કેન્દ્રના પ્રોફેસર એન.પી.સિંહનું કહેવું છે કે નેપાળના કેટલાક નેતાઓ ચીન તરફ ઝૂકેલા છે.જ્યારે ઓલી કે પ્રચંડની સરકાર બની ત્યારે તે વૈચારિક રૂપે ચીન સાથે જોડાઈ ગયા હતા. ચીન નેપાળને ડિફેન્સમાં મદદ કરે છે. આપણે એવું ક્યારેય કહેતા નથી કે ચીન સાથે સંબંધ ખરાબ કરવામાં આવે. પણ નેપાળે હંમેશા યાદ રાખવું જોઈએ કે ભારત સાથે તેનો સંબંધ એવો નથી કે આપણે તેને દેવાંની જાળમાં ફસાવી દઈએ. આપણે વિકાસમાં સહયોગી બનવા માગીએ છીએ. આપણો સંબંધ એવો નથી કે દરેક નિર્ણય માટે તેમણે આપણી સાથે ચર્ચા કરવી પડે. નેપાળનું ભૂગોળ ભારતની ફેવરમાં છે અને નેપાળમાં કોઈની પણ સરકાર આવે, તેણે દિલ્હી સાથે મળીને કામ કરવું પડશે. નેપાળની ચૂંટણીમાં જેન-ઝી મેદાન મારી જશે? તોફાન વખતે ઘણા જેન-ઝી નેતાઓ ઉભરી આવ્યા હતા. એમાંથી મોટાભાગના હવે અલગ-અલગ પોલિટિકલ પાર્ટીઓમાં છે. જેમની સાથે તેમના વિચારો મળે છે, તેઓ તેમની સાથે જોડાઈ ગયા. મોટાભાગના નેપાળી કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે મળીને કામ કરે છે. જેન-ઝીની જ અલગ પોલિટિકલ પાર્ટી પણ બની છે.- નામ છે જેન-ઝી રિવોલ્યુશન નેપાળ. આ પાર્ટીના લીડર છે 26 વર્ષના ટંકા ધામી. ટંકા ધામી નવી સરકાર પાસેથી અપેક્ષા રાખે છે કે તેઓ યુવાઓને નેતૃત્વમાં સામેલ કરે અને કરપ્શન ખતમ કરે. ટંકા ધામીએ મીડિયા સાથેની વાતચીતમાં કહેલું કે જ્યાં સુધી બાલેન શાહ અને રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીનો સવાલ છે, અમને તેમના એજન્ડા અને ડેવલપમેન્ટના પ્લાન પર શંકા છે. દેશને આગળ કેવી રીતે વધારવામાં આવશે, અમને તેનો ક્લિયર રોડમેપ જોઈએ, જે તેમની પાસે દેખાતો નથી. બાલેન શાહ વચન મોટા મોટા આપે છે પણ કામ કરતા નથી. સવાલ એ છે કે જે જેન-ઝી નેતાઓ ચૂંટણી લડી રહ્યા છે તે મેદાન મારી જશે? પણ તેમાં શંકા છે. કારણ કે બાંગ્લાદેશમાં પણ આંદોલનકારી નેતાઓ ચૂંટણી લડ્યા હતા પણ બધા ઝીરોએ આઉટ થઈ ગયા. એટલે આંદોલનના ચહેરા મત ખેંચી શકે તે જરૂરી નથી. આંદોલનોનો જનતાંત્રિક આધાર નથી હોતો. એકાએક આવેલા વિદ્યાર્થી નેતાઓને લોકો તરત સ્વીકારતા નથી. જે નેતાઓ વર્ષોથી રાજનીતિમાં છે, અનુભવ છે તેની સાથે જ મતદારો જઈ શકે તેવી સંભાવના વધારે છે. છેલ્લે, નેપાળમાં જેન-ઝી તોફાનો પછી સુશીલા કાર્કી વચગાળાના વડાપ્રધાન બન્યાં. એ વખતે નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર અભિનંદન આપતાં લખ્યું હતું કે, I extend my best wishes to Right Hon. Mrs. Sushila Karki... આ મેસેજમાં મોદીએ 'Right' શબ્દ લખ્યો હતો તેની ચર્ચા બહુ થઈ હતી પણ આ શબ્દ મોદીએ કેમ લખ્યો, તે કોયડો ઉકેલાયો નથી. બની શકે કે ચૂંટણીના પરિણામો પછી આપણને આ કોયડાનો જવાબ મળી જાય. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચ- યશપાલ બક્ષી)

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 7:55 pm

કુકરદામાં રસ્તાના અભાવે પ્રસૂતાને ઝોળીમાં ઉચકી:ગ્રામજનોએ એક કિલોમીટર સુધી લઈ જવી પડી, 108 દ્વારા હોસ્પિટલ ખસેડાઈ

નસવાડી તાલુકાના કુકરદા ગામમાં પાકા રસ્તાના અભાવે ફરી એકવાર વિકાસના દાવા પોકળ સાબિત થયા છે. પ્રસૂતિ પીડા ભોગવી રહેલી એક મહિલાને પરિવારજનો અને ગ્રામજનો દ્વારા લગભગ એક કિલોમીટર સુધી ઝોળીમાં ઉચકીને 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવી હતી. ત્યારબાદ તેને તણખલા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટના કુકરદા ગામના દુકતા ફળિયામાં બની હતી. સુનિલા નામની મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની જરૂર પડી હતી. જોકે, ગામમાં પાકા રસ્તા ન હોવાથી વાહનવ્યવહાર શક્ય નહોતો. પરિણામે, ગ્રામજનોએ કપડાની ઝોળી બનાવીને મહિલાને તેમાં સુવડાવી, ખાડાટેકરાવાળા રસ્તાઓ અને કોતરો ઓળંગીને મુખ્ય રસ્તા પર ઉભેલી 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બહુલ્ય ધરાવતો અને અંતરિયાળ ડુંગરાળ વિસ્તાર છે. અહીં આજે પણ અનેક ગામોમાં પાકા રસ્તાનો અભાવ જોવા મળે છે. જેના કારણે બીમાર વ્યક્તિઓ અને પ્રસૂતા મહિલાઓને હોસ્પિટલ પહોંચાડવા માટે ઝોળીનો સહારો લેવો પડે તેવી ઘટનાઓ અવારનવાર સામે આવે છે. એક તરફ સરકાર છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાના દાવા કરે છે, ત્યારે બીજી તરફ પાયાની સુવિધા એવા પાકા રસ્તા બનાવવામાં તંત્રની ઉદાસીનતા સ્પષ્ટ દેખાઈ રહી છે. આ પરિસ્થિતિનો ભોગ જિલ્લાની ગરીબ આદિવાસી જનતા બની રહી છે. જિલ્લાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારોમાં તાત્કાલિક પાકા રસ્તા બનાવવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 7:50 pm

આદિવાસીઓએ ધગધગતા અંગારા પર ચાલી માનતા પૂરી કરી:છોટા ઉદેપુરમાં ચૂલનો મેળો યોજાયો, વિદેશી પર્યટકો પણ ઉમટ્યા

છોટા ઉદેપુર જિલ્લામાં હોળીના બીજા દિવસે, ધૂળેટી પર્વ નિમિત્તે ચૂલનો મેળો યોજાયો હતો. આ મેળામાં મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડ્યા હતા, જેમણે ધગધગતા અંગારા પર ચાલીને પોતાની માનતાઓ પૂરી કરી હતી. વિદેશી પર્યટકોએ પણ આ અનોખા મેળાનો આનંદ માણ્યો હતો. આદિવાસીઓ પારંપારિક વેશભૂષામાં સજ્જ થઈને વાંસળી, દદુળી, મોટલા ઢોલ (રામ ઢોલ) અને ઘૂઘરાના તાલે નાચગાન કરતા જોવા મળ્યા હતા. આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને નજીકથી નિહાળવા માટે વિદેશી પર્યટકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મેળાનું મુખ્ય આકર્ષણ ધગધગતા અંગારા પર ચાલવાની પરંપરા હતી. આદિવાસી સમુદાયના લોકો વર્ષ દરમિયાન માનેલી માનતાઓ પૂરી થતાં, પોતાની શ્રદ્ધા અનુસાર આ અંગારા પર ચાલીને માનતા પૂરી કરતા હોય છે. આ દ્રશ્ય જોવા માટે મોટી ભીડ ઉમટી હતી. આમ, છોટા ઉદેપુર જિલ્લામાં આદિવાસી સમુદાય દ્વારા હોળીના તહેવારની ઉજવણી હર્ષોલ્લાસ અને પારંપારિક ઉત્સાહ સાથે કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 7:49 pm

સાબરમતી નદીમાં ચાર યુવકોના ડૂબી જવાથી મોત:ધૂળેટીના પર્વે કુબેરનગરના યુવકો નદીમાં નાહવા પડ્યા, ફાયર વિભાગને ચારેયના મૃતદેહ બહાર કાઢ્યા

અમદાવાદની સાબરમતી નદીમાં કુબેરનગર વિસ્તારના ચાર યુવકોના ડૂબી જવાથી મોત થયા છે. આજે 4 માર્ચના રોજ ધૂળેટીનો તહેવાર હોવાથી ચારેય યુવકો નદીમાં નાહવા માટે પડ્યા હતા, ત્યારે તેઓ ડૂબી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટનાસ્થળ ઉપર દોડી ગઈ હતી. જોકે, ફાયર વિભાગને ત્રણ યુવકો ડૂબ્યા હોવાનો મેસેજ મળ્યો હતો, પરંતુ ચાર યુવકોની લાશ મળી આવી હતી. જે મામલે પોલીસને જાણ કરવામાં આવાત રિવરફ્રન્ટ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 7:46 pm

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી 6 માર્ચે:ડબલ ગ્રેજ્યુએટ વકીલો મતદાન કરશે, અમદાવાદમાં હાઈકોર્ટ અને યુનિવર્સિટી ખાતે મતદાન મથકો

ગુજરાતના વકીલો માટે મહત્વપૂર્ણ ગણાતી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી 6 માર્ચે યોજાવાની છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત રાજ્યના વકીલોની માતૃ સંસ્થા તરીકે કાર્ય કરે છે અને વકીલ વ્યવસાયના મહત્વપૂર્ણ નિર્ણયો પર સીધી અસર કરે છે. આ વખતે ચૂંટણીમાં કુલ 99 ઉમેદવારો મેદાનમાં છે. 76 હજારથી વધુ નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યના વિવિધ જિલ્લાઓ અને બાર એસોસિએશનોમાં ચૂંટણીને લઈને પ્રચુર ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર રાજ્યના વકીલોમાં ઉત્સાહનો માહોલઆ ચૂંટણીમાં જે.જે.પટેલ સહિતના અનેક જાણીતા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવાર જે.જે.પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યના વકીલોમાં ઉત્સાહનો માહોલ છે. તેમણે દાવો કર્યો કે તેમણે રાજ્યના તમામ બાર એસોસિએશનોની મુલાકાત લીધી છે અને વકીલોમાંથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. 'જે કામ કરશે તેને મત મળશે'જે.જે.પટેલના જણાવ્યા મુજબ, આ વખતે રાજ્યના વકીલોએ મન બનાવી લીધું છે કે “જે કામ કરશે તેને મત મળશે.” તેમના શબ્દોમાં, વકીલ સમાજ હવે કાર્ય આધારિત નેતૃત્વ તરફ આગળ વધી રહ્યો છે અને આ ચૂંટણી ઐતિહાસિક પરિણામ આપી શકે છે. 11 હજાર નવા યુવા વકીલો મહત્વની ભૂમિકા ભજવશેરાજ્યમાં તાજેતરમાં નોંધાયેલા અંદાજે 11 હજાર નવા યુવા વકીલો પણ આ ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવશે. યુવા વકીલોમાં આધુનિકતા, પારદર્શિતા અને ટેકનોલોજી આધારિત વ્યવસ્થાની માંગ વધી રહી છે. ડિજિટલ ઈન્ડિયા અભિયાનની દિશામાં બાર કાઉન્સિલ અને બાર એસોસિએશનોને વધુ આધુનિક અને ટેકનોલોજીથી સજ્જ બનાવવાનો મુદ્દો પણ ચર્ચાના કેન્દ્રમાં છે. વકીલો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નવી ટીમ પસંદ કરશેબાર કાઉન્સિલ ઓફ ગુજરાત માત્ર ચૂંટણી પ્રક્રિયા પૂરતી સીમિત નથી. તે વકીલોની નોંધણી, શિસ્ત, હિતરક્ષા અને કાનૂની વ્યવસાયના સંચાલન જેવી અગત્યની જવાબદારીઓ નિભાવે છે. તેથી આ ચૂંટણીનું પરિણામ આગામી 5 વર્ષ માટે વકીલ સમાજની દિશા અને પ્રાથમિકતાઓ નક્કી કરશે. હવે સૌની નજર 6 માર્ચ પર ટકેલી છે, જ્યારે હજારો વકીલો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને નવી ટીમ પસંદ કરશે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 6:59 pm

ધુળેટીનો ઉત્સવ માતમમાં ફેરવાયો:સુજલામ સુફલામ કેનાલમાં નહાવા પડેલા 4 પૈકી 2 યુવાનોના ડૂબી જવાથી મોત; મૃતકના પરિવારોમાં ભારે શોકની લાગણી

મહેસાણા જિલ્લામાં ધુળેટીના પર્વ પર એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મોટીદઉ ગામ પાસેથી પસાર થતી સુજલામ સુફલામ કાચી કેનાલમાં નાહવા પડેલા ચાર યુવાનો પૈકી બે યુવાનોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. જ્યારે અન્ય બે મિત્રોનો આબાદ બચાવ થયો છે. આ દુર્ઘટનાને પગલે ભાડુ ગામમાં અને મૃતક પરિવારોમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. અચાનક ચારેય યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતામહેસાણા તાલુકાના ભાડુ ગામના ચાર યુવકો ધુળેટી રમીને બપોરે આશરે 1 વાગ્યાના સુમારે મોટીદઉ પાસે આવેલી સુજલામ સુફલામ કાચી કેનાલમાં નાહવા માટે ગયા હતા. નહાતી વખતે અચાનક ચારેય યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા.આસપાસના લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. જેમાં બે યુવકોને હેમખેમ બહાર કાઢી લેવામાં સફળતા મળી હતી, પરંતુ અન્ય બે યુવકો પાણીમાં લાપતા થયા હતા. કલાકોના સર્ચ ઓપરેશન બાદ બંને યુવકોના મૃતદેહ મળી આવ્યાઘટનાની જાણ થતા જ મહેસાણા ગ્રામ્ય મામલતદારની ટીમ અને મહેસાણા ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તરવૈયાઓ દ્વારા હાથ ધરવામાં આવેલા કલાકોના સર્ચ ઓપરેશન બાદ બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતકોની ઓળખ 14 વર્ષીય જયરાજ પોપટજી ઠાકોર અને 23 વર્ષીય વિજયજી વિનુજી ઠાકોર (બંને રહે. રેલવેપુરા, ભાડુ) તરીકે થઈ છે. બે આશાસ્પદ યુવાનોના મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટીબંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ મામલે મહેસાણા તાલુકા પોલીસે અકસ્માતે મોતના ગુના સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે. તહેવારના દિવસે જ ગામના બે આશાસ્પદ યુવાનોના મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 6:58 pm

ઢોકળવા મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો:બે આરોપી ઝડપાયા, ₹1.79 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ આણંદપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ઢોકળવા ગામે થયેલી મંદિર ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ચોરીમાં ગયેલા ચાંદીના દાગીના અને અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹1,79,000ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) એ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા તેમજ ઘરફોડ, વાહન અને મંદિર ચોરીના અનડિટેક્ટેડ ગુનાઓને ઉકેલવા માટે LCB પોલીસ ઇન્સ્પેક્ટરને સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, LCB પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્ક્વોડના I/C પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમાએ અલગ અલગ ટીમો બનાવી હતી. ચોક્કસ બાતમીના આધારે, LCB ટીમે ચોરીમાં સંડોવાયેલા બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલા ચાંદીના દાગીના, એક અલ્ટો ગાડી અને એક મોબાઇલ ફોન સહિત કુલ ₹1,79,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. કબજે કરાયેલા મુદ્દામાલમાં ₹69,000ની કિંમતની પાંચ ચાંદીની હાસડી (કામ્બી), ₹1,00,000ની કિંમતની એક અલ્ટો ગાડી અને ₹10,000ની કિંમતનો એક મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓમાં જસદણના સરધાર, સુકી સાજળીયાળી રોડ પરના સરકારી આવાસમાં રહેતા નવઘણભાઈ હરીભાઈ ડાભી અને એક મહિલાનો સમાવેશ થાય છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ માટે આરોપીઓને આણંદપુર પોલીસ સ્ટેશનને સોંપી દીધા છે. આ કામગીરીમાં LCB સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટરની રાહબરી હેઠળ PSI જે.વાય. પઠાણ, I/C PSI એન.એ. રાયમા, હેડ કોન્સ્ટેબલ દેવરાજભાઈ જોગરાજીયા, કોન્સ્ટેબલ વજાભાઈ સાનીયા, ગીરીરાજસિંહ જાડેજા અને મેહુલભાઈ મકવાણા સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 6:40 pm

રાજકોટના 40 લોકો દુબઈ, ઓમાનમાં ફસાયા:ઈરાન - ઇઝરાયેલ યુધ્ધને લીધે અટવાયેલા નાગરિકોએ કલેક્ટર કચેરીની હેલ્પલાઇન પર મદદ માંગી

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધને કારણે રાજકોટના 40 લોકો દુબઈ અને ઓમાનમાં ફસાયા છે. તેમના દ્વારા કલેક્ટર કચેરી ખાતે શરૂ કરવામાં આવેલા કંટ્રોલ રૂમ પરના હેલ્પલાઇન પર ફોન કરી મદદ માગવામાં આવી હતી આ તમામ લોકો જે તે જગ્યાએ સુરક્ષિત છે પરંતુ તેઓ વતન પરત ફરવા માટે ફ્લાઇટની રાહમાં છે. ફ્લાઈટ મળતા ની સાથે જ તેઓ રાજકોટ પરત ફરશે. રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધને લીધે ફસાયેલા લોકોને મદદ કરવા માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેના નંબર 0281 2471573 અને 0281 2410100 છે. જેમાં 16 પરિવારોના ફોન આવ્યા છે. જેમના 40 લોકો ફસાયા છે. જેમાં 39 લોકો દુબઈમાં તો 1 વ્યક્તિ ઓમાનમાં છે. જોકે તેઓ હાલ સુરક્ષિત છે અને હવાઈ ઉડાન શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે. લોકો QR કોડ અને વેબસાઇટ પરથી પોતાની માહિતી મૂકી મદદ માંગી શકે છે. રાજકોટ ડિઝાસ્ટર મામલતદાર મીરાબેન જાનીએ જણાવ્યુ હતુ કે, આ કંટ્રોલ રૂમ 24 કલાક ચાલુ છે. જ્યાં ફોન કરતા લોકોની માહિતી સ્ટેટ કંટ્રોલ રૂમને કરવામાં આવે છે અને તે માહિતી સ્ટેટ દ્વારા મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ ઓફ ઇન્ડિયામાં મોકલવામાં આવે છે. જે માટે એક QR કોડ અને વેબસાઇટ www.meaers.com/request પર પોતાની માહિતી મૂકી મદદ માંગી શકે છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ગલ્ફ દેશોમાં હાલમાં ચાલી યુધ્ધની પરિસ્થિતિ અન્વયે રાજકોટ જિલ્લાની કોઇ વ્યક્તિ ફસાયેલ હોવાનુ ધ્યાને આવે તો ભારત સરકારના Ministry of External Affairs દ્વારા બનાવેલ ક્યુ.આર. કોડ સ્કેન કરાવી જરૂરી માહિતી ભરવાની રહેશે. જોકે હવે ફલાઇટની મદદથી લોકો વતન રાજકોટ પરત ફરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 6:28 pm

પોર્ટુગલના બોગસ પાસપોર્ટ પર ભારત આવેલા અમરેલીના શખ્સની ધરપકડ:નામ બદલી ‘કલ્પેશકુમાર’ બન્યો હતો, ઈમિગ્રેશન અધિકારીઓની તપાસમાં ભાંડો ફૂટ્યો

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી એકવાર ડોક્યુમેન્ટ ફ્રોડનો મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોર્ટુગલની નકલી નાગરિકતા અને બોગસ પાસપોર્ટના આધારે ભારત આવેલા અમરેલીના એક શખ્સને ડુમસ પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપીએ વિદેશમાં સેટલ થવા માટે પોતાની ઓળખ બદલી 'કાલ્પેશકુમાર' નામે દસ્તાવેજો બનાવ્યા હતા, પરંતુ ઈમિગ્રેશન અધિકારીઓની તપાસમાં તેનો ભાંડો ફૂટી ગયો હતો. ઓળખ બદલીને વિદેશમાં સેટલ થવાનું મોટું કૌભાંડમૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કમી કેરાળા ગામના વતની અને હાલ સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા 49 વર્ષીય ભાવેશભાઈ ધીરુભાઈ બોરડની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે, ભાવેશભાઈએ પોર્ટુગલ જવા માટે અને ત્યાંની નાગરિકતા મેળવવા માટે 'બામણિયા કલ્પેશકુમાર રતિલાલ' (BAMANIA KALPESHKUMAR RATILAL) તરીકેનું ખોટું નામ ધારણ કર્યું હતું. આ માટે તેણે બોગસ દસ્તાવેજો અને કિંમતી જામીનગીરીઓ પણ ઊભી કરી હતી. કેવી રીતે ફૂટ્યો ભાંડો? એરપોર્ટ પર તપાસ દરમિયાન સતર્કતાઘટનાની વિગત મુજબ, આરોપી ગત તારીખ 2 માર્ચ, 2026 પહેલા કોઈપણ સમયે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના ફર્સ્ટ ફ્લોર પર આવેલા ઇન્ટરનેશનલ અરાઈવલ એરિયામાં પહોંચ્યો હતો. અહીં ઈમિગ્રેશન ઓફિસ ખાતે જ્યારે તેના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી, ત્યારે અધિકારીઓને શંકા ગઈ હતી. સઘન તપાસ દરમિયાન માલૂમ પડ્યું કે તેણે પોર્ટુગલની સરકારની કચેરીઓમાં બોગસ દસ્તાવેજો રજૂ કરી ત્યાંની નાગરિકતા મેળવી લીધી હતી અને તેના આધારે મેળવેલ પાસપોર્ટ સંપૂર્ણપણે ગેરકાયદેસર હતો. નવી ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ગુનો દાખલદુમસ પોલીસ સ્ટેશનમાં આ મામલે ભારતીય ન્યાય સંહિતા 2023 (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજો બનાવવા બદલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 'ધી પાસપોર્ટ એક્ટ, 1967' ની કલમ 12(1)(બી) મુજબ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ નવા કાયદા હેઠળ સુરત પોલીસ દ્વારા કરવામાં આવેલી આ એક મહત્વની કાર્યવાહી ગણાય છે. ઈ-ટુરિસ્ટ વિઝાનો સહારો લઈ ભારતમાં પ્રવેશ્યોઆરોપી ભાવેશભાઈએ માત્ર પાસપોર્ટ જ નહીં, પણ ભારતમાં પ્રવેશવા માટે વિઝા મેળવવામાં પણ છેતરપિંડી કરી હતી. તેણે કાલ્પેશકુમાર બામણિયાના નામે ઈ-ટુરિસ્ટ વિઝા એપ્લિકેશન (નં. I001V5C3A025) કરી હતી અને વિઝા મેળવ્યા હતા. આ નકલી ઓળખ સાથે તેણે મુંબઈ અને સુરત એરપોર્ટનો ઉપયોગ કરી ભારતની સુરક્ષા એજન્સીઓને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો. બોગસ દસ્તાવેજ બનાવવામાં કોણે મદદ કરી તે દિશામાં તપાસ હાથ ધરાશેઆ સમગ્ર કૌભાંડ બાબતે સુંદરાગીરી ચંદનગીરી નામના અધિકારીએ ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદના આધારે ડુમસ પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપીને આ બોગસ દસ્તાવેજો બનાવવામાં કોણે મદદ કરી હતી અને આ પાછળ કોઈ મોટું એજન્ટોનું નેટવર્ક કાર્યરત છે કે કેમ. આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવીસુરત પોલીસ કમિશનરની સૂચના મુજબ, એરપોર્ટ પર સુરક્ષા અને દસ્તાવેજોની ચકાસણી સઘન બનાવવામાં આવી છે. આ કેસમાં પકડાયેલા ભાવેશ બોરડ પાસેથી અનેક ચોંકાવનારી વિગતો મળવાની શક્યતા છે. ખાસ કરીને પોર્ટુગલ જેવા દેશના દસ્તાવેજો ગુજરાતમાં બેસીને કેવી રીતે મેનેજ થયા તે તપાસનો વિષય છે. હાલમાં આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 6:25 pm

પોલીસકર્મીઓએ ફરજ સાથે ધુળેટીની ઉજવણી કરી:SP રાહુલ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ રંગોમાં ભીંજાયા

પોલીસ વિભાગે આ વર્ષે ફરજની સાથે ધુળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી. સામાન્ય નાગરિકો શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવી શકે તે માટે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં વ્યસ્ત રહેતા પોલીસકર્મીઓએ પણ રંગોનો ઉત્સવ માણ્યો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક (SP) રાહુલ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ અને જવાનો આ ઉજવણીમાં જોડાયા હતા. પોલીસ બેડામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલની આગેવાનીમાં DYSP સંજય રાય, PI વિરાજ જાડેજા અને PI કોરાટ સહિતના અધિકારીઓએ એકબીજાને રંગ લગાવી ધુળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ગીત-સંગીત અને રંગો સાથે પોલીસકર્મીઓએ મન મૂકીને ધુળેટીની મજા માણી હતી. વર્ષના મોટાભાગના તહેવારોમાં પોલીસ કાફલો સતત બંદોબસ્તમાં વ્યસ્ત રહે છે, જેના કારણે તેઓ ઘણીવાર પોતાના પરિવાર કે સાથીદારો સાથે તહેવાર ઉજવી શકતા નથી. તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ અને ચેકિંગમાં પણ વ્યસ્ત હોય છે. આ કઠિન ડ્યુટી વચ્ચે થોડો સમય કાઢીને કરાયેલી આ ઉજવણીથી પોલીસ કર્મચારીઓમાં માનસિક હળવાશ અને ટીમ ભાવના મજબૂત થઈ હતી. ઉચ્ચ અધિકારીઓની હાજરીએ નાના કર્મચારીઓમાં પણ ઉત્સાહનો સંચાર કર્યો હતો. પોલીસ કર્મચારીઓએ જણાવ્યું હતું કે, જનતાની સુરક્ષા તેમની પ્રાથમિકતા છે, પરંતુ આવા અવસરો પર સાથી કર્મચારીઓ સાથે તહેવાર ઉજવવાથી કામનું દબાણ હળવું થાય છે અને નવી ઉર્જા મળે છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 6:18 pm

આણંદ-કરમસદ મનપાએ કાર્યવાહી કરી:ગંદકી અને દબાણ બદલ બે ખાણી-પીણી એકમો સીલ, સામાન જપ્ત

આણંદ-કરમસદ મહાનગરપાલિકાએ જાહેર આરોગ્યના હિતમાં કડક કાર્યવાહી કરી છે. કમિશનરની સૂચનાથી આરોગ્ય અને એસ્ટેટ વિભાગની ટીમે મહેન્દ્ર શાહ હોસ્પિટલથી ગુજરાતી ચોક તરફના માર્ગ પર આવેલી બે ખાણી-પીણીની દુકાનોને સીલ કરી દીધી છે. આ કાર્યવાહી ગંદકી અને રસ્તા પર દબાણ કરવા બદલ કરવામાં આવી છે. તપાસ દરમિયાન 'આશિષ ચાઇનીઝ કિંગ' અને 'અલ-હબીબી ફાસ્ટ ફૂડ હબ' નામના એકમોમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. આ ઉપરાંત, આ દુકાનદારો દ્વારા જાહેર રસ્તા પર ખાદ્ય પદાર્થો બનાવીને દબાણ કરવામાં આવ્યું હતું, જે રાહદારીઓ માટે અવરોધરૂપ બનતું હતું. મનપાની ટીમે આ એકમોમાં ભયંકર ગંદકી અને સ્વચ્છતાના નિયમોનું સદંતર ઉલ્લંઘન થતું હોવાનું નોંધ્યું હતું. લોકોના સ્વાસ્થ્યને નુકસાન થવાની સંભાવનાને પગલે, તંત્રએ તાત્કાલિક અસરથી બંને દુકાનોને સીલ કરી દીધી હતી. રસ્તા પર મુકાયેલો તમામ સામાન પણ કબજે લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકાએ શહેરના તમામ હોટલ અને દુકાન માલિકોને સ્વચ્છતા જાળવવા અને દબાણ ન કરવા અંગે સ્પષ્ટ ચેતવણી આપી છે. જો ભવિષ્યમાં કોઈ ખાદ્ય એકમ આવા નિયમોનું ઉલ્લંઘન કરશે, તો તેમની સામે પણ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહીથી અન્ય બેદરકાર વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 6:17 pm

રાજકોટ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટનો ચૂકાદો:પિતાની હત્યા કેસમાં પુત્રને 5 વર્ષની સખત કેદ અને રૂપિયા 5,000નો દંડ, 21 દસ્તાવેજી પુરાવા અને 13 સાક્ષીની જુબાની કોર્ટ સમક્ષ લેવામાં આવી

રાજકોટ શહેરના હિંગળાજ નગર આવાસ યોજનામાં બનેલી પિતાની હત્યાની કરુણ ઘટનામાં રાજકોટની પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા આરોપી પુત્રને પાંચ વર્ષની સખત કેદની સજા તેમજ રૂપિયા 5000નો દંડ ફટકારવામાં આવ્યો છે અને જો દંડની રકમ ભરપાઈ ન કરે તો વધુ એક મહિનાની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં 21 દસ્તાવેજી પુરાવા અને 13 સાક્ષીની જુબાની કોર્ટ સમક્ષ લેવામાં આવી હતી જેને માન્ય ગણી કોર્ટે આરોપીને દોષિત જાહેર કરી સજા ફટકારી છે. પુત્ર વારંવાર પિતા પાસે પૈસાની માંગણી કરી ઝઘડો કરતો રાજકોટમાં હિંગળાજ નગર આવાસ યોજનાના ક્વાર્ટર નં. અ-502માં રહેતી મનિષાબેન વજુભાઈ ચોટલીયાએ પોતાના દીકરા રવિ વજુભાઈ ચોટલીયા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ પોલીસ ફરિયાદમાં આરોપી પુત્ર વારંવાર તેના પિતા વજુભાઈ ભાણજીભાઈ ચોટલીયા પાસે પૈસાની માંગણી કરી ઝઘડો કરતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને બનાવના દિવસે પણ પૈસા માંગવા બાબતે ઉગ્ર બોલાચાલી થઇ હતી જેથી આરોપી પુત્ર એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને પિતાને ઢીંકા-પાટુ વડે માર મારી માથું દીવાલ સાથે જોરથી ભટકાડયું હતું. ઉપરાંત મોઢા પર આડેધડ પાટા વડે હુમલો પણ કરવામાં આવ્યો હતો જેથી ગંભીર હોવાથી વજુભાઈ બેભાન થઈ ગયા હતા. આ બનાવનો અવાજ સાંભળી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને તાત્કાલીક 108 મારફત ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસી વજુભાઈને મૃત જાહેર કર્યા હતા. સરકાર પક્ષે કુલ 21 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. આ કેસમાં આરોપી સામે આઈપીસી કલમ 302 અને 201 હેઠળ ગુનો નોંધી કેસ ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો હતો. સરકાર પક્ષે કુલ 21 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. સાથે ફરિયાદી, પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટર, જુદા જુદા પંચ સાક્ષીઓ તેમજ સમગ્ર તપાસ કરનાર તપાસનીશ અધિકારી સહિત કુલ 13 સાક્ષીઓની જુબાની કોર્ટ સમક્ષ લેવામાં આવી હતી. કેસ પૂર્ણ થતા સરકાર તરફેથી સરકારી વકીલ કમલેશ ડોડીયાએ આરોપીને કડક સજા થાય તે માટે દલીલો કરી હતી.આરોપી પુત્રને પાંચ વર્ષની સખત કેદની સજા તથા રૂ.5000નો દંડ ફટકાર્યો દસ્તાવેજી પુરાવા, સાક્ષીઓની જુબાની અને સરકારી વકીલની દલીલોને માન્ય રાખી કોર્ટએ આરોપીને દોષિત ઠરાવ્યો હતો. રાજકોટની પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના ન્યાયાધીશ જે.આર.શાહે આરોપી રવિ વજુભાઈ ચોટલીયાને પાંચ વર્ષની સખત કેદની સજા તથા રૂ.5000નો દંડ ફટકાર્યો છે. અને દંડની રકમ ન ભરે તો વધુ એક મહિનાની સજા ભોગવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ કમલેશ ડોડીયા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી, જ્યારે સહાયક તરીકે ઉર્વી આચાર્ય રોકાયેલા હતા.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 6:14 pm

મોરબીમાં બે કારખાનામાં વૃદ્ધ-યુવાનના મોત:પથારીવશ વૃદ્ધ, યુવાનને પેટમાં દુખાવાથી મૃત્યુ

મોરબી નજીક આવેલા બે જુદા જુદા કારખાનામાં અપમૃત્યુના બે બનાવ સામે આવ્યા છે. જેમાં એક વૃદ્ધ અને એક યુવાનનું મોત નીપજ્યું છે. પોલીસે બંને ઘટનાઓની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રથમ બનાવ મોરબી-રાજકોટ હાઈવે રોડ પર આવેલા અજંતા કારખાનાના લેબર ક્વાર્ટરમાં બન્યો હતો. અહીં રહેતા નરેશભાઈ વેરશીભાઈ દધુકિયા (60) નામના વૃદ્ધનું ગઈકાલે કોઈ કારણોસર મોત થયું હતું. મળતી માહિતી મુજબ, નરેશભાઈને 19 વર્ષ પહેલાં અકસ્માત થયો હતો, જેના કારણે તેઓ પથારીવશ હતા. તેમના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજો બનાવ મોરબીના જેતપર રોડ પર પાવડીયારી નજીક આવેલા અલાસ્કા કારખાનાના ક્વાર્ટરમાં બન્યો હતો. અહીં રહેતા ઉમેશભાઈ બાબુભાઈ (39) નામના યુવાનને કારખાનામાં અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો હતો. પેટમાં દુખાવો થતાં મહેન્દ્રભાઈ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ યુવાનનું રસ્તામાં મોત નીપજ્યું હતું. હોસ્પિટલ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને આ બનાવની જાણ કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 6:13 pm

BR ફાર્મમાં 4 હજારથી વધુ યુવાનો ડીજેના તાલે ઝૂમ્યા:નવસારીમાં રેઈન ડાન્સ અને સંગીતના સંગમે ધુળેટીની ઉજવણી

નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ધુળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નવસારીના સુપ્રસિદ્ધ BR ફાર્મ ખાતે આયોજિત ધુળેટી મહોત્સવમાં 4 હજારથી વધુ યુવાનો ઉમટી પડ્યા હતા. તેમણે ડીજેના તાલે રંગોત્સવની ઉજવણી કરી હતી. BR ફાર્મમાં છેલ્લા ત્રણ વર્ષથી ધુળેટીની વિશેષ ઉજવણી થાય છે. આ વર્ષે પણ અંદાજે 3 થી 4 હજાર યુવક-યુવતીઓ આ ઉજવણીમાં જોડાયા હતા. લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતો અને ડીજેના તાલે યુવાનો ઝૂમી ઉઠ્યા હતા. રેઈન ડાન્સ યુવાનો માટે મુખ્ય આકર્ષણ રહ્યું હતું, જ્યાં પાણીના ફુવારા નીચે ભીંજાઈને તેમણે ધુળેટીની મજા માણી હતી. આ ઉજવણીમાં રાજકીય આગેવાનો પણ જોડાયા હતા. નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ યુવાનોના ઉત્સાહમાં સહભાગી થઈ ડીજેના તાલે નૃત્ય કર્યું હતું. હજારોની મેદની હોવા છતાં BR ફાર્મ ખાતેનું આયોજન શિસ્તબદ્ધ રીતે કરવામાં આવ્યું હતું. યુવાનોએ એકબીજાને ગુલાલ લગાવીને ભાઈચારાના આ પર્વની ઉજવણી કરી હતી. રેઈન ડાન્સ અને સંગીતના સંગમે ધુળેટીની ઉજવણીને વધુ યાદગાર બનાવી હતી.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 6:05 pm

તળાજાની નિલકંઠ ગુરુકુલમના દેવ રાઠોડ 'ઇન્સ્પાયર માનક એવોર્ડ' માટે પસંદગી.:તેનો પ્રયોગ 'ઝાંખા પ્રકાશમાં કામ કરતી સ્માર્ટ અને ઓટોમેટિક ટોર્ચ'

ભાવનગર જિલ્લાના તળાજા સ્થિત નિલકંઠ ગુરુકુલમ્ ના ધોરણ-10ના વિદ્યાર્થી રાઠોડ દેવ પ્રકાશકુમારની 'ઇન્સ્પાયર માનક એવોર્ડ' માટે પસંદગી કરવામાં આવી છે. દેવ રાઠોડના 'ઝાંખા પ્રકાશમાં કામ કરતી સ્માર્ટ અને ઓટોમેટિક ટોર્ચ' નામના વિજ્ઞાન પ્રયોગને આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે પસંદ કરાયો છે, જે તળાજા પંથક માટે ગૌરવની વાત છે. વિદ્યાર્થી દેવ રાઠોડે જણાવ્યું કે આ પ્રયોગ આજના પ્રદૂષિત વિશ્વની એક મોટી સમસ્યાનું નિરાકરણ લાવે છે. મોટા શહેરોમાં ધુમ્મસ અથવા શિયાળામાં વાહનચાલકોને આગળનું દ્રશ્ય સ્પષ્ટ દેખાતું નથી, જેના કારણે અકસ્માતોનું જોખમ વધે છે.આ સમસ્યાના નિવારણ માટે, તેણે એક એવી ઓટોમેટિક લાઇટની શોધ કરી છે જે ઝાંખા પ્રકાશ કે ધુમ્મસ હોય ત્યારે આપમેળે ચાલુ થઈ જાય છે. આ સ્માર્ટ ટોર્ચ ધુમ્મસ અને ઓછા પ્રકાશમાં પણ અસરકારક રીતે કાર્ય કરીને વાહનચાલકોને મદદરૂપ થશે. રાઠોડ દેવની પસંદગી વર્ષ ૨૦૨૫-૨૬ના 'ઇન્સ્પાયર માનક એવોર્ડ' માટે થઈ છે, જેમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. નોંધનીય છે કે નિલકંઠ ગુરુકુલમ્ ના વિદ્યાર્થીની સતત બીજા વર્ષે આ એવોર્ડ માટે પસંદગી થઈ છે, જે સંસ્થા માટે એક મોટી સિદ્ધિ છે. આ વર્ષે તળાજા તાલુકામાંથી કુલ ત્રણ શાળાના વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા છે, જેમાં નિલકંઠ ગુરુકુલમ્ ના વિદ્યાર્થીનો પણ સમાવેશ થાય છે.આ વિશિષ્ટ સિદ્ધિ બદલ રાઠોડ દેવે તળાજા તાલુકા અને ભાવનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. શાળાના આચાર્ય, ટ્રસ્ટીઓ ભરતસિંહ મોરી, વિપુલસિંહ પરમાર, બળદેવસિંહ ચુડાસમા, યશપાલસિંહ વનાર, સંચાલકો, શિક્ષકો અને સ્ટાફગણ સહિત નિલકંઠ ગુરુકુલમ્ પરિવારે વિદ્યાર્થી દેવ રાઠોડ અને તેના માર્ગદર્શક જીવ વિજ્ઞાન શિક્ષક સંજયસિંહ કે. સરવૈયાને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 6:03 pm

વડોદરામાં ધૂળેટી પર્વની ઉલ્લાસભેર ઉજવણી:રંગ-ગુલાલ, ડીજેના તાલ અને યુવાનોની મસ્તીથી માહોલ રંગીન બન્યો, સોસાયટીથી લઈને ફાર્મ હાઉસમાં યુવાઓએ ખૂબ ડાન્સ કર્યો

આ વર્ષે વડોદરા શહેરમાં ધૂળેટી પર્વની ખૂબ જ જોરશોરથી ઉજવણી કરવામાં આવી. આખા શહેરમાં રંગ-ગુલાલ, ડીજેના તાલ, ઢોલના ધમાકા અને યુવાનોની મસ્તીથી માહોલ રંગીન બની ગયો હતો. લોકો સવારથી જ ઘરેથી નીકળીને પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ અને રિસોર્ટમાં પહોંચી ગયા હતા. શહેરભરમાં રંગો અને સંગીત સાથે ધૂળેટીનો માહોલવડોદરા શહેરના દરેક ખૂણે રંગો ઉડતા જોવા મળ્યા હતા. યુવાનો-યુવતીઓએ એકબીજા પર ગુલાલ અને કલર લગાવીને મજા માણી. ઢોલ-નગારા અને ડીજેના બીટ પર બધા ઝૂમી ઉઠ્યા. રેન ડાન્સ, મડ પૂલ અને વોટર પાર્ક જેવી વિશેષ વ્યવસ્થા સાથેના કાર્યક્રમોમાં ભીડ ખૂબ જ હતી. બ્લિસ ફાર્મ, વાટિકા ગ્રીન રિસોર્ટ, ફુલ દ્વાર, આરુશ લોન્સ, ડ્રીમસિટી જેવા સ્થળોએ મોટા-મોટા ઇવેન્ટ યોજાયા, જ્યાં લાઈવ ડીજે, ઢોલ, અનલિમિટેડ ફૂડ અને થંડાઈની વ્યવસ્થા હતી. અલગ અલગ પાર્ટી પ્લોટ પર યુવાનોનો ભારે જમાવડોવડોદરા શહેરના ભાયલી અને સેવાસી સહિતના વિસ્તારોમાં પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસ પર યુવાનોની ભીડ ઉમટી પડી હતી. વિવિધ ઇવેન્ટમાં ઓર્ગેનિક કલર, ફૂલોની હોળી અને પૂલ પાર્ટી જેવી ખાસ વસ્તુઓએ લોકોને આકર્ષ્યા હતા. બધા જ સેલ્ફી, રીલ્સ બનાવવામાં વ્યસ્ત થઈ ગયા હતા. ખાસ કરીને યુવાનોમાં આ બાબતે ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો. વાઘેશ્વરી ફાર્મ ખાતે ધૂળેટીનો ખાસ કાર્યક્રમઅહીં DJના તાલે યુવાનો ઝૂમ્યા હતા, રંગો સાથે મસ્તી કરી હતી. એકબીજાને કલર લગાવીને, ડાન્સ કરીને બધાએ ધમાલ મચાવી દીધી હતી. પાર્ટી પ્લોટ પર ખાણી-પીણીની વિશેષ વ્યવસ્થા હતી. અનલિમિટેડ બ્રેકફાસ્ટ, લંચ, સ્નેક્સ, થંડાઈ અને વેજ ફૂડના સ્ટોલ્સ ખૂબ ચાલ્યા હતા. સુરક્ષા માટે અલગથી સિક્યોરિટી અને પાર્કિંગની વ્યવસ્થા પણ સારી હતી, જેથી કોઈને મુશ્કેલી ન પડી. સવારથી જ ધૂળેટીના કાર્યક્રમોમાં લોકોમાં ભારે ઉત્સાહલોકો સવારના 9-10 વાગ્યાથી જ લોકો નીકળી પડ્યા હતા. શહેર પોલીસે પણ સુરક્ષા માટે ખાસ બંદોબસ્ત કર્યો હતો – ફૂટ પેટ્રોલિંગ, ડ્રોન સર્વેલન્સ અને જાહેરમાં કેમિકલ કલર ઉડાડવા પર પ્રતિબંધનું જાહેરનામું પણ બહાર પાડ્યું હતું. ઘણા લોકોએ ઇકો-ફ્રેન્ડલી કલર અને ફૂલોનો ઉપયોગ કર્યો હતો. વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા હોળી પર્વનું આયોજન કરાયુંપોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ રંગોના પર્વને ઉજવતા નજરે પડ્યા હતા. તેમણે પોલીસ પરિવાર સાથે ખાસ કાર્યક્રમ યોજ્યો હતો, જ્યાં ઇકો-ફ્રેન્ડલી કલર અને ફૂલોથી હોળી રમાઈ હતી. અધિકારીઓ હળવાશ સાથે ડાન્સ-મસ્તીમાં પણ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 6:01 pm