SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
... ...View News by News Source

ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની અનોખી જન્મદિવસ ઉજવણી:કેમ્પસમાં 100થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું, આદ્ય ગુરુ ગોવિંદ ગુરુને નમન કરી આશીર્વાદ લીધા

પંચમહાલ જિલ્લાની ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. હરિભાઈ કટારીયાએ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી. તેમણે સૌપ્રથમ યુનિવર્સિટીના આદ્ય ગુરુ ગોવિંદ ગુરુને નમન કરી આશીર્વાદ લીધા. વાઇસ ચાન્સેલરે યુનિવર્સિટી કેમ્પસમાં 100થી વધુ વિવિધ પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કર્યું. તેમણે યુનિવર્સિટીના વર્ગ-4ના કર્મચારીઓ સાથે જન્મદિવસની ઉજવણી કરી. સેવકોને સાલ ઓઢાડીને તેમનું સન્માન કર્યું. ડૉ. કટારીયા અગાઉ સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં ડીન તરીકે સેવા આપી ચૂક્યા છે. તાજેતરમાં જ તેમણે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. યુનિવર્સિટી કેમ્પસના તમામ કર્મચારીઓને વૃક્ષોનું જતન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 8:02 am

તપાસની માંગ:વ્યારા પાલિકાના તત્કાલીન સભ્યો, અધિકારીઓ વિરુદ્ધ ગ્રાન્ટના દુરુપયોગ મુદ્દે તપાસની માગ

વ્યારા નગરપાલિકાના તત્કાલીન સભ્યો અને અધિકારીઓ વિરુદ્ધ સરકારી ગ્રાંટના દુરુપયોગ, નીતિનિયમોના ભંગ અને વહીવટી બેદરકારીના ગંભીર આક્ષેપો સાથે તપાસની માંગ ઉઠી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનકુમાર નાયકે મુખ્યમંત્રી, વહીવટ વિભાગના સચિવ અને મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશનના કમિશનરને રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના UDP-88 (2020–21) હેઠળ મળેલી રૂ. 225 લાખની ગ્રાંટમાંથી વ્યારામાં આંબેડકર પૂતળા પાસે ગાર્ડન ડેવલોપમેન્ટ, ટોયલેટ અને હોકર્સ ઝોન બનાવવા કારોબારી સમિતિએ ઠરાવ કરી જમીન માટે કલેક્ટરને અરજી કરી હતી. જિલ્લા મૂલ્યાંકન સમિતિએ જમીનની કિંમત 1,75,55,375 નક્કી કરી હતી. પરંતુ સામાન્ય સભાના ઠરાવમાં આ કામનો ઉલ્લેખ નહોતો. 9 મે 2023ના રોજ કોન્ટ્રાક્ટ અપાયો . 12 એપ્રિલ 2024ના રોજ રૂ. 48,18,924 નું પેમેન્ટ કરી દેવાયુ હતું. જે અંગે કલેક્ટરના ધ્યાને આવતા કામ બંધ કરાવાયું હતું. જે બાદ સ્પોટ્સ કોમ્પલેક્ષ અને શોપિંગ સેન્ટર માટે 2018-19માં મળેલી રૂ. 56.25 લાખની ગ્રાંટમાંથી કામ શરૂ કરાયું હતું. 17 જૂન 2019ના રોજ કારોબારી સમિતિએ સ્પોટ્સ કોમ્પલેક્ષ માટે મંજૂરી આપી હતી. પરંતુ શોપિંગ સેન્ટર માટે કોઈ મંજૂરી લેવાઈ નહોતી હતી. છતાં અંદાજિત 1,38,02,253ના ખર્ચે બાંધકામ શરૂ કરાયું. ટેન્ડર 11.70 ટકા નીચા દરે 1,14,75,154માં મંજૂર થયું. પરંતુ ચુકવણી 1,37,39,483 કરી હતી. એટલે કે 22,64,329વધુ ચૂકવાયા હતા. ટેન્ડર એક્સેસની મંજૂરી પણ લેવામાં આવી ન હોતી. જે બાદ જુનુ બસ સ્ટેન્ડ, જે સીટી સર્વે નં. 1385માં આવેલ છે અને સ્ટેટ ટ્રાન્સપોર્ટ, સુરતની માલિકીની મિલકત છે, ત્યાં રિનોવેશન માટે 14મા નાણાપંચ હેઠળ મળેલી રૂ. 20,02,57,828 માંથી રૂ. 37,72,458 ખર્ચવાનું નક્કી કરાયું. 11 મે 2023ના રોજ કારોબારી મીટીંગમાં ઠરાવ થયો હતો. 14 સપ્ટેમ્બર 2020ની સભામાં મંજૂરી મળી. પરંતુ બસ સ્ટેન્ડ પર પાંચ દુકાનો બનાવવા કોઈ ઉલ્લેખ નહોતો. સ્ટેટ ટ્રાન્સપોર્ટ વિભાગ પાસેથી પણ મંજૂરી લેવામાં આવી નહોતી. છતાં દુકાનો બાંધવામાં આવી. ટેન્ડરિંગ કરીને એજન્સીને કામ સોંપાયું હતું. ટેન્ડર રકમ કરતા વધુ ચૂકવણી થઇ હતી.આ જગ્યા પર અગાઉ પે એન્ડ યુઝ ટોયલેટ હતું. જે સરકારી ગ્રાંટમાંથી બનેલું હતું. તે ટોયલેટ તોડી દુકાનો બાંધવામાં આવી હતી. મંજૂરી લીધા વિના કામ કરાયું હતું. જે વહીવટી બેદરકારી અને નીતિનિયમોના ભંગનો દાખલો છે.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 7:46 am

વાહન વ્યવહાર થંભી ગયો:તાપી જિલ્લામાં ભારે વરસાદ,13 રસ્તા બંધ, વાહન વ્યવહાર ઠપ

તાપી જિલ્લામાં સતત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી છે. મંગળવારે 13 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કર્યા છે. વાલોડ તાલુકાના દેગામા ધોધિયા ફળિયાથી અંબાચ ગામીત ફળિયા રોડ, દેગામા ટોકર ફળિયાથી બાજીપુરા દેગામા રૂપવાડા રોડ, દેગામા ગામીત ફળિયાથી ટાંકલી ફળિયા રોડ, ધામોદલા બંગલી ફળિયા રોડ, વાલોડ બુટવાડા બાજીપુરા સુમુલ રોડ, વાલોડ શેઢી ફળિયાથી જકાતનાકા રોડ, વાલોડ ઉકાઈ કોલોનીથી ઈનમા બુટવાડા રોડ, તેમજ અલગટ દિવાન ફળિયાથી પારસી ફળિયા, અલગટ જવાહર ફળિયાથી મહુવા અલગટ જોઈનીંગ રોડ અને મહુવા અલગટ જોઈનીંગ રોડ, સોનગઢ તાલુકામાં હનુમંતિયા ધમોડી રોડ પર પણ ઓવરટોપિંગના કારણે વાહન વ્યવહાર બંધ કરાયો છે. 1 જુલાઇએ પડેલો વરસાદતાપી જિલ્લામાં 1 જુલાઈના રોજ પડેલા વરસાદના આંકડા મુજબ વ્યારામાં 4 ઇંચ, સોનગઢમાં 2.7 ઇંચ, ડોલવણમાં 2.4ઇંચ, વાલોડમાં 2 ઇંચ, ઉચ્છલમાં 1.4 ઇંચ અને કુકરમુંડામાં 0.8 ઇંચ વરસાદ નોંધાયો છે.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 7:28 am

કરુણાંતિકા સર્જાઈ:કોઢારમાં પંખા માટે બાંધેલા પાઇપમાંથી કપડાં સૂકવવાના તારમાં કરંટ ઉતરતા માતા-પુત્રીના મોત

જેસીંગપુરા ગામમાં માતા અને પુત્રી કપડાં ધોઈને સુકવવા માટે લોખંડના તાર પર નાખતા તે સમયે બંનેને વીજ કરંટ લાગતા મોત થયા હતા. ઘરના કોઢારમાં પંખા મૂકવા મુકેલા લોખંડના પાઇપ સાથે તાર બાંધ્યો હોય, જેમાં કરંટ ઉતરતા જે તારને અડી જતા કરંટ લાગવાની ઘટના બની હોવાનું માનવામાં આવે છે. જોકે, આ ઘટના સમયે કોઈ હાજર ન હોવાનું જાણવા મળેલ છે. વ્યારા તાલુકાના જેસિંગપુરા ગોદી ફળીયામાં રહેતા કૈલાસબેન ગામીત (58)ના પતિનું અવસાન થયું છે. સંતાનમાં બે દીકરી અને દીકરો છે. એક દીકરી મમતાબેન ગામીતના લગ્ન થઈ ગયા હોય, જે વડોદરા પતિ સાથે રહે છે, જ્યારે બીજી દીકરી ધનગૌરીબેન ગામીત (35) લગ્ન થયા નથી. 30 જૂનના રોજ દીકરો રાહુલ ગામીત સવારે દસ વાગ્યે પોતાની સાસરી વીરપુર ભાત રોપવા ગયા હતો. ઘરમાં માતા અને દીકરી ઘરમાં હાજર હતા. રાહુલ ભાત રોપીને સાંજે સાડા પાંચ વાગ્યે ઘરે આવ્યો હતો. ઘરના કોઢારની બહાર ખુલ્લી જગ્યામાં માતા અને બહેન બેભાન હાલતમાં પડેલા જોયા હતા. બેન ધનગૌરીના હાથમાં લોખંડનો તાર વીટળાયેલો હતો. જેનો એક છેડો કોઢારના લોખંડના પાઇપ સાથે બાંધેલો હતો. રાહુલ ફટાફટ બહેનને ઉઠાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને પણ કરંટ લાગ્યો હતો, જેથી તરત કોઢારના પંખાનું ઇલેક્ટ્રિક વાયર સપ્લાય કાપી નાખ્યું હતું અને માતા અને બહેનને ઉઠાડવાનો પ્રયાસ કર્યો પણ ઉઠ્યા ન હતા. માતા કૈલાસ ગામીતના જમણાં હાથની કોણી પાસે ચામડી બળી કાળી પડી હતી. જ્યારે બેન ધનગૌરીબેનના બંને હાથની આંગળીઓ અંદર વળી ગઈ હતી. ચામડી બળી કાળી પડી હતી. ગળાના ભાગે પણ કરંટ લાગ્યાના નિશાન હતા. નજીકમાં એક ડોલ પડી હતી. જેમાં ભીના કપડાં હતા. બનાવ અંગે પોલીસને જાણ થતા વ્યારા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પંખાના વાયર પર અગાઉ પીવીસીની ટેપ મારવમાં આવી હતી કોઢારની છત માટે લગાવેલા લોખંડના પાઇપ સાથે ઇલેક્ટ્રિક પંખો લગાવેલો હતો. પંખાના વાયર પર અગાઉ પીવીસી ટેપ મારવામાં આવી હતી. આ પાઇપ સાથે જ કપડાં સૂકવવા માટે તાર બાંધ્યો હતો. વરસાદી વાતાવરણના કારણે કરંટ લોખંડના પાઇપમાં ઉતર્યો હતો. પાઇપ સાથે લોખંડનો તાર બાંધેલો હોય, માતા અને દીકરી કપડા સુકવવા ગયા ત્યારે આ તારમાં અડતા તેમને કરંટ લાગ્યો હતો. પરિવારજનોને કોઈ શંકા ન હોવાનું જણાવ્યું હતું. ભાસ્કર ફર્સ્ટ પર્સન માતા અને બહેન નીચે પડ્યા હતાસાંજે ઘરે આવ્યો, ત્યારે મારી માતા અને બહેનને નીચે પડેલી હાલતમાં જોઈ તાત્કાલિક પડોશીઓને બોલાવ્યા હતા. કરંટ વાળા વાયરોને કટ કરી માતા અને બહેનના શરીર પરથી તાર દૂર કર્યા હતા. સારવાર મળે તે પહેલા મોત નિપજ્યું હતું. > રાહુલ ગામીત, પુત્ર

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 7:22 am

મુસાફરોને હાલાકી:સુરત- એંધલ નાઈટ બસ વારંવાર રદ અને અનિયમિત

ગુજરાત એસ.ટી.તંત્રના વલસાડ વિભાગ દ્વારા વર્ષોથી દોડતી સુરતથી સાંજે 6 કલાકે ઉપડતી સુરત-નવસારી-એંધલ નાઇટ બસ વારંવાર વલસાડના એક ટ્રાફિક અધિકારી દ્વારા આ રૂટના મુસાફરોને હેરાન કરવાના આશયથી રદ કરાય છે, કેમ કે આ રૂટના ક્રૂ હોવા છતાં ઓછી આવક ધરાવતી ટ્રીપમાં મોકલી દે છે જેને લઈને મુસાફરો હેરાન પરેશાન થઇ ગયા છે અને ભારે આક્રોશ ફેલાયેલો જોવા મળે છે. વલસાડ ડેપો દ્વારા આ બસ વલસાડથી 3.10 કલાકે સુરત જવા એક્ષ્પ્રેસ તરીકે ઉપડે છે અને સુરતથી સાંજે 6 કલાકે એંધલ આવવા ઉપડે છે અને એંધલથી સવારે 5.20 કલાકે સુરત જાય છે ત્યાંથી સુરતથી વાપી જવા સવારે 7.10 કલાકે ઉપડે છે. આમ આ શીડ્યુલ વલસાડ ડેપોને રોજની 15થી 16 હજારની આવક રળી આપે છે. છતાં વલસાડના ટ્રાફિક અધિકારી પોતાની મનમાની કરી આ શીડ્યુલને રદ કરે છે જેને લઈને એસ.ટી.તંત્ર આવક તો ગુમાવે છે પણ હજારો મુસાફરો હેરાન થાય છે. ઘણીવાર આ શીડ્યુલ ઉપર ક્રૂ હોવા છતાં અન્ય શીડ્યુલમાં ફાળવી દે છે કે જે શીડ્યુલની આવક માંડ રૂ. 3થી 4 હજાર હોય છે. આમ આ અધિકારી ડેપો મેનેજરનું પણ માનતા ન હોવાનું કહેવાય છે. હાલમાં આ બસ 7, 10, 11 મે, 22, 27 અને 29 જૂનના રોજ રદ કરી છે તેમજ 21 અને 25 જૂનના રોજ વલસાડથી સીધી એંધલ મોકલી હતી તો આ બાબત ની તપાસ વિભાગીય નિયામકે કરાવી જે જવાબદાર અધિકારી હોય તેને ઉપર પગલાં લે એવી લોકમાંગ પ્રવર્તી રહી છે.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 7:10 am

યુવકની લાશ મળતાં છવાયો શોક:ઉંભરાટના દરિયામાં વેસ્માનો યુવક ડૂબ્યો, બીજા દિવસે લાશ મળી

જલાલપોરના વેસ્મા ગામે રહેતા યુવાન તેના ચાર મિત્રો સાથે સોમવારે બપોરે ગયો હતો. ન્હાવાનું મન થતા યુવાન પાણીમાં ઉતર્યો પણ મધ દરિયે જતાં એ ગભરાઇ ગયો હતો. અને ડૂબી જતાં તેની મૃતદેહ બીજા દિવસે બપોરના સમયે ઉંભરાટ દરિયા કિનારે વેસ્મામાં રહેતા મિત્રો સાથે ઉભરાટ ફરવા આવેલ યુવાન દરિયામાં લાપતા થયો હતો. આદિવાસી પરીવારનો એકનો એક દીકરો દરિયામાં ગરકાવ થતા સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. બીજા દિવસે તેની લાશ મળી હતી. જલાલપોરના પર્યટક સ્થળ ઉંભરાટ દરિયાકિનારા પર સોમવારે વેસ્મા ગામથી 4 મિત્રો ફરવા આવ્યા હતા. દરિયા કિનારે થોડીવાર બેસી મિત્રોમાંથી 23 વર્ષીય વિશાલ ભીખુ હળપતિ દરિયામાં નાહવા પડ્યો હતો. વિશાલ હળપતિ નાહતા નાહતા દરિયાની અંદર પહોંચી ગયો હતો. જોકે દરિયામાં હાલ કરંટ વધુ હોવાથી વિશાલ ડૂબવા લાગ્યો હતો. જે દ્રશ્ય જોતા કિનારે બેસેલા સહેલાણી તેમજ દુકાનદારો મિત્રોમાં દોડધામ મચી ગઇ હતી. ડૂબી રહેલ વિશાલને બચાવવા પ્રયાસ કર્યા હતા પરંતુ દરિયામાં અંદર હોય તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેને લઇ સ્થાનિકો પોલીસ તેમજ વહીવટી તંત્રની શોધખોળ બાદ દરિયામાં ગરકાવ થયેલ યુવકનો મૃતદેહ મંગળવારના રોજ બપોરે મળી આવતા પીએમ અર્થે મરોલી સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. મરોલી પોલીસ ઈન્સ્પેક્ટર ડી.જે.પટેલ અને સ્ટાફે દરિયા કિનારે જઇ મૃતદેહની શોધખોળ કરવા માટે માર્ગ દર્શન પણ આપ્યું હતું. આદિવાસી પરિવારનો એકનો એક દીકરો હતો વિશાલ હળપતિ પરિવારમાં એકનો એક દીકરો હોય હાલ મજૂરી કામ કરતા હોય આર્થિક રીતે માતાને મદદ પણ કરતો હતો. મિત્રો સાથે દરિયા કિનારે જતા નાહવાની લાલચ રોકી ન શક્યો અને કાળનો કોળિયો બની ગયો હતો.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 7:09 am

સપનાનું ઘર લેવું થશે મુશ્કેલ:બ્લેક ટ્રેપ ખનીજની રોયલ્ટીના ભાવમાં 100 ટકાનો વધારો, બાંધકામ મોંઘુ થશે

સરકાર દ્વારા રાતોરાત બ્લેક ટ્રેપ ખનીજની રોયલ્ટીમાં 100 ટકાનો ભાવ વધારો ઝીંકાતા બાંધકામ મોંઘુ થવા સાથે ખનીજના ઉપભોગતાઓએ મોંઘવારીનો માર સહન કરવાની નોબત આવી છે. હાલ ટન દીઠ રૂ. 45ની રોયલ્ટીના સીધા રૂ. 90 થઈ જશે. ચીખલી તાલુકાના આલીપોર, દેગામ, બામણવેલ, માણેકપોર, ખૂંધ, રેઠવાણીયા, ચાસા સહિતના ગામોમાં 90ની આસપાસ ક્વોરીઓ આવી છે અને મોટાપાયે કવોરી ઉદ્યોગ ધમધમે છે. તાલુકામાંથી વિશાળ માત્રામાં બ્લેક ટ્રેપ ખનીજના વિવિધ ઉત્પાદનોમાં દમણ, સેલવાસ, વાપી, વલસાડ, સુરત, ડાંગ સહિતના વિસ્તારમાં વહન થતું હોય છે અને સરકારને આ બ્લેક ટ્રેપ ખનીજ પેટે માત્ર નવસારી જિલ્લામાંથી માસિક 8 કરોડ રૂપિયાની આવક થતી હોય છે. આ સંજોગોમાં સરકાર દ્વારા કોઈપણ જાતની આગોતરી જાણ કર્યા વિના રાતોરાત બ્લેક ટ્રેપ ખનીજની રોયલ્ટીમાં સીધેસીધો 100 ટકાનો ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જેને લઈને હાલની 45 રૂપિયાની રોયલ્ટી બમણી થઈને 90 થઈ ગઇ છે. જેમાં ઉત્પાદકોને કોઈ નુકસાન નથી પરંતુ આ બ્લેક ટ્રેપ ખનીજનું ઉપયોગ કરનારાઓને મોંઘવારી સહન કરવાની નોબત આવી છે. રોયલ્ટીના ભાવ બમણા કરાતા બ્લેક ટ્રેપ ખનીજના ઉત્પાદનો વધુ મોંઘા થતા બાંધકામની રકમ વધી જતાં ઘરનું સપનું સાકાર કરનારાઓને વધુ એક મોંઘવારીનો ઝટકો લાગવા સાથે બજેટ ખોરવાઈ ગયું છે. બીજી તરફ સરકારને નવસારી જિલ્લાની જ વાત કરીએ તો હાલ જે માસિક 8 કરોડની આવક છે તે સીધી 16 કરોડ પર પહોંચશે અને પ્રજાએ મોંઘવારીનો ભાર સહન કરવાની નોબત આવી છે. સરકાર દ્વારા આ રોયલ્ટીના ભાવવધારા બાબતે ફેર વિચારણા કરી લોકોને રાહત આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. બાંધકામના માલસામાનનો ભાવ વધતા ઘરનું સપનું સાકાર કરવા મુશ્કેલી સરકાર દ્વારા બ્લેક ટ્રેપ ખનીજની રોયલ્ટીમાં 100 ટકાનો ભાવ ઝીંકાતા રબલ, મેટલ, કપચી સહિતના બાંધકામમાં ઉપયોગ થતા માલ સામાનની કિંમત વધી જતાં તેનો સીધી અસર ખાસ કરીને ઘરનું સપનું સાકાર કરવાનું મોંઘુ થશે. > મિત આર. પરમાર, સરકાર માન્ય કોન્ટ્રાકટર, ધોળીકૂવા​​​ઇલે. ડિટોનેટરના ભાવ રૂ. 45થી 300 કરી દેવાતા બ્લાસ્ટીંગનો ખર્ચ વધશે સરકાર દ્વારા બલેક ટ્રેપ ખનીજની રોયલ્ટી ઉપરાંત બ્લેક ટ્રેપની ખાણની બ્લાસ્ટીંગમાં વપરાતા ઇલેક્ટ્રીક ડીટોનેટરના ભાવ નંગ દીઠ રૂ. 45 હતા, તેના સીધા રૂ. 300 કરી દેવાયા છે. બીજી તરફ બ્લાસ્ટીંગની મશીનરી પણ બદલાઈ જતા બ્લાસ્ટીંગનો ખર્ચ પણ વધશે એવામાં આ ભાવ વધારાનો ભાર પણ બ્લેક ટ્રેપ ખનીજના ઉપભોગતાઓએ સહન કરવો પડશે તે નિશ્ચિત છે. સરકારના રોયલ્ટીના ભાવ વધવાને પગલે ઘર બાંધનારાઓને મોંઘવારી સહન કરવાનો વારો આવશે.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 7:06 am

મ્યુનિ.ના દાવાની પોલ સામાન્ય વરસાદમાં જ ખૂલી ગઈ:મ્યુનિ. રૂ.1700 કરોડ ટેક્સ લે છે છતાં ગટર ઊભરાવાની જ 28,642 ફરિયાદ

શહેરમાં સામાન્ય વરસાદમાં પણ અને વિસ્તારમાંથી કલાકો સુધી પાણી ઉતરતા નથી. જૂન 30 દિવસમાં જ પાયાની સુવિધાની તકલીફની મ્યુનિ.ને 31,793 ફરિયાદો મળી છે. મ્યુનિ. વર્ષે 1700 કરોડ પ્રોપર્ટી ટેક્સ ઉઘરાવે છે છતાં ગટર ઊભરાવવાની સૌથી વધુ 28,642 ફરિયાદ હતી. ગટરની સફાઈ માટે 498 સંસ્થા કામ કરે છે આ પાછળ અઢી કરોડ જેટલી રકમ ચૂકવાય છે છતાં ફરિયાદો ઓછી થવાનું નામ લેતી નથી. જૂનમાં વિવિધ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની કંટ્રોલ રૂમને 4360 ફરિયાદ મળી છે. રૂબરૂ ફરિયાદનો આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. શહેરમાં ચોમાસા પહેલા વિવિધ ડ્રેનેજ લાઇનોની કેચપીટ સફાઇ કરવામાં આવી હોવાનું કહેતાં મ્યુનિ.ના દાવાની પોલ સામાન્ય વરસાદમાં જ ખૂલી ગઈ હોવાનો આક્ષેપ મ્યુનિ. વિપક્ષી નેતા શહેજાદખાન પઠાણે કર્યો હતો. મધ્ય-ઉત્તર ઝોનમાંથી સૌથી વધુ 13 હજાર ફરિયાદ આવી ઝોન ફરિયાદ ઉત્તર 6710 મધ્ય 6180 પશ્ચિમ 5038 દક્ષિણ 4825 પૂર્વ 2955 ઉ.પશ્ચિમ 1411 દ.પશ્ચિમ 1523 કુલ 28642

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 7:03 am

ઠગાઇ:ઉંચા વ્યાજની લાલચ આપી ખાનગી કંપનીમાં રોકાણ કરાવી વાંસદાના યુવાન સાથે રૂ. 27.41 લાખની ઠગાઇ

વાંસદા તાલુકાના રાણીફળિયામાં રહેતા એક ઇસમને પ્લેટિન વર્લ્ડ એલ.ટી.ડી. કંપનીમાં રૂપિયાનો રોકાણ કરવાથી ઊંચ વ્યાજની લોભામણી સ્કીમ આપી ડોલવણના યુવાને રૂ. 27.41 લાખ ઓનલાઇન ગુગલ પે તેમજ રોકડા મેળવી વિશ્વાસઘાત કરતા વાંસદા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. વાંસદા તાલુકાના રાણી ફળિયા ગામે શાંતિનગરમાં રહેતા અને હાલમાં નવા ફળિયા મહીડા સાહેબની વાડીમાં કિર્તીભાઇના મકાનમાં મૂળ રહે. ધનગવા, મધ્યપ્રદેશના લીલાધર મૃર્ગેન્દ્રસિંહ રાઠોર (ઉ.વ. 30)એ બીલીમોરાથી હોલસેલમાં સાબુ અને સાબુ પાવડર લાવી વાંસદાના ગામોમાં ફરીને વેચાણ કરે છે. તા. 25/1/2023ના રોજ માલ વેચાણ માટે ગામડે ગયા હતા. દરમિયાન ખરજઈ ગામે અનિતા ધર્મેશભાઈ ચૌધરી અને ધર્મેશ રવજીભાઈ ચૌધરીએ તેમને જણાવ્યું કે અમે પ્લેટીન વર્લ્ડ એલ.ટી.ડી.કંપનીમાં અમો શેરબજાર બિઝનેસમાં જોડાયેલા છે અને PLCUX નો પ્લાન દર મહિને ફિક્સ પેમેન્ટ આપે છે ત્યારે તેમણે જોડાવાની ના પાડી હતી. તેઓએ તા. 1/2/2023ના રોજ કંપનીના સિનિયર તેમના ઘરે આવવાના હોવાનું જણાવતા લીલાધર ખરજઈ ગામે પહોંચ્યો હતો. જ્યાં 3-4 ઇસમ હતા અને તેમને કમલેશ જ્યસિંગભાઈ ચૌધરી પ્લેટિન કંપનીના વ્યારાના સર હોવાની ઓળખાણ કરાવી હતી અને જણાવ્યું કે પ્લેટિન વર્લ્ડ કંપની 7 વર્ષથી ચાલે છે તમો રોકાણ કરશો તો સારામાં સારા રૂપિયા મળશે. બાદમાં તા. 6/2/2023ના રોજ સવારે 4 ઇસમો ઘરે મળવા આવતા કંપનીમાં જોડાવા ના પાડી હતી. જેથી આ તમામ ઈસમોએ જણાવ્યું કે અમે પણ રોકાણ કર્યું છે અને મહિને 50 હજાર મળે છે જેથી વિશ્વાસમાં આવી તા. 6થી 9 ફેબ્રુઆરી 2023 દરમિયાન કમલેશ જેસિંગભાઈ ચૌધરી (રહે. ડોલવણ, પટેલ ફળિયા, જિ. તાપી) પ્લેટિન વર્લ્ડ એલ.ટી.ડી.કંપનીમાં PLCUX ના પ્લાનના અધિકારી હોવાનું જણાવી તેમના મોબાઈલમાં ULTIMA FARM માં MINTING નામની એપ ડાઉનલોડ કરાવી હતી અને તમે જો આ કંપનીના શેર માર્કેટમાં જોડાઇ રૂપિયા રોકશો તો તમને ત્રણ ઘણું વળતર મળવાનું જણાવ્યું હતું. તેમની પાસેથી રૂ. 29.41 લાખ ઓનલાઇન ગુગલ પે તેમજ રોકડ રકમ મેળવી હતી. ત્યારબાદ20 માર્ચ 2023ના રોજ કમલેશભાઈ ચૌધરીનો ફોન કરી જણાવ્યું કે તમારા રોકાણના આ મહિનાના વળતરના રૂ. 2 લાખ ધર્મેશ ચૌધરી (રહે.ખરજઈ)માં પ્રગેશ ગામીત તથા તેમની મમ્મી હન્નાબેન આપશે તે લઈ લેજો. તેઓ ત્યાં ગયા ત્યારે બધાની હાજરીમાં 2 લાખ આપ્યા હતા. ત્યારબાદ દર મહિને વળતરની માંગણી કરતા કમલેશેકોઈ સંતોષકારક જવાબ આપતો ન હતો. કમલેશે વિશ્વાસઘાત અને ઠગાઈ કરી તેના એકાઉન્ટમાં તેમજ બીજા એકાઉન્ટમાં નાણાં નંખાવી તેમની સાથે છેતરપિંડી કરતા કમલેશ ચૌધરી વિરુદ્ધ વાંસદા પોલીસ મથકે ફરિયાદ આપી હતી. પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 7:01 am

બિયારણનું વિતરણ:50થી વધુ લાભાર્થીઓ માટે 5-5 કિલો બિયારણની વ્યવસ્થા કરાઇ

વાંસદા તાલુકાના સતીમાળ, અંકલાછ, લાકડબારી ગામમા નાના ધરતીપુત્રોએ ખેતરોમાં ડાંગરની વાવણી કરી હતી પરંતુ આ વર્ષે વધુ વરસાદના કારણે ધરું યોગ્ય રીતે ઊગી શક્યું ન હતું, જેના કારણે નાના ખેડૂતોને ખૂબ નુકસાન થયું હોવાની વાતની જાણકારી સમાજ સેવક બિપીન માહલાને મળતાં ખેડૂતોની સ્થિતિને ધ્યાનમાં લઇ બિપીન માહલાએ શિવમ એગ્રો વલસાડને જાણ કરી હતી. શિવમ એગ્રોએ 50 લાભાર્થીઓને 5-5 કિલો બિયારણની વ્યવસ્થા કરી આપી હતી. આ બિયારણ બિપીન માહલા એ ફિલ્ડમાં જઈ ખેતરોમાં સ્થળ પર જઈ સ્થળ નિરીક્ષણ કરી ખેડૂતોને જગ્યા ઉપર બિયારણ આપ્યું હતું ત્યારે ખેડૂતોને રાહત થતા ખુશી જોવા મળી હતી. આમ આ વિસ્તારમાં સતત સેવા કરતા બિપીન માહલા ખેડૂતોની મદદે આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 7:01 am

રાજકોટ મહાનગરપાલિકા વધુ 3 પાર્ટી પ્લોટ બનાવશે:શીતલપાર્ક, મોરબી રોડ અને કાલાવડ રોડ પર લગ્ન સહિતના પ્રસંગો થઈ શકે તેવી આધુનિક સુવિધા

રાજકોટ મનપાએ શહેરના લોકોને લગ્નપ્રસંગોમાં સારી સુવિધા આપવા માટે 18 મેરેજ હોલ બનાવ્યા છે. જેમાં 26 યુનિટો કાર્યરત છે. જોકે હાલ પાર્ટી પ્લોટનું ચલણ વધ્યું હોવાથી બજેટમાં નવા પાર્ટી પ્લોટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત શહેરમાં હાલ 3 નવા અદ્યતન પાર્ટી પ્લોટના નિર્માણની કામગીરી શરૂ થવા જઈ રહી છે. જેમાં એક પાર્ટી પ્લોટ શહેરના મધ્યમાં શીતલ પાર્ક પાસે બનાવવામાં આવશે, તો બીજો મોરબી રોડ પર ગ્રીનલેન્ડ ચોકડીથી 0.8 કિલોમીટર દૂર આકાર લેશે. આ બંને પાર્ટી પ્લોટનાં નિર્માણથી લગ્ન સમારોહ સહિતના પ્રસંગો માટે લોકોને નજીવા ભાડે આધુનિક સુવિધાઓ મળી રહેશે. તેમજ વેસ્ટ ઝોનમાં તાલુકા પોલીસ મથક નજીક વધુ એક પાર્ટી પ્લોટ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આમ શહેરમાં વધુ 3 નવા પાર્ટી પ્લોટ બનતા લોકોને ખાનગી પાર્ટી પ્લોટનાં મસમોટા ભાડા ચુકવવાથી રાહત મળશે. શીતલ પાર્ક નજીકનો પાર્ટી પ્લોટમેયર નયના પેઢડીયાનાં જણાવ્યા અનુસાર, બજેટમાં પણ લોકો માટે ત્રણેય ઝોનમાં પાર્ટી પ્લોટ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત શીતલ પાર્કવાળા રસ્તે કમલમ કાર્યાલય નજીક કોર્પોરેશનનાં પ્લોટમાં એક પાર્ટી પ્લોટ બનાવવામાં આવનાર છે. આ પ્રોજેક્ટમાં જીએસટી સહિત કુલ રૂ. 4.45 કરોડનો ખર્ચ કરવામાં આવશે. પાર્ટી પ્લોટના નિર્માણનું કામ નરેન્દ્ર એમ. પટેલને 5.40% 'ઓન'થી આપવાનું સૂચવવામાં આવ્યું છે. આ પાર્ટી પ્લોટમાં વર-વધૂના રૂમ, સ્ટોર રૂમ, ઈલેક્ટ્રિક રૂમ, ઓફિસ, ટોઇલેટ બ્લોક, વોશ એરિયા, પાર્કિંગ ઝોન, લોન એરિયા, મુખ્ય હોલ અને કિચન જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. મોરબી રોડ પર મનપાનો અદ્યતન પાર્ટી પ્લોટઆ ઉપરાંત વધુ એક અદ્યતન પાર્ટી પ્લોટ મોરબી રોડ પર બનશે. વોર્ડ નંબર 4 માં નિર્માણ પામનાર આ પાર્ટી પ્લોટ ગ્રીનલેન્ડ ચોકડીથી મોરબી રોડ પર એચ.પી.ના પેટ્રોલ પંપ બાજુમાં, જીએસટી સહિત રૂ. 4.21 કરોડના ખર્ચે તૈયાર થશે. મહાનગરપાલિકાના બાંધકામ વિભાગ દ્વારા આ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં વોર્ડ નંબર 4 માં ટી.પી. સ્કીમ નંબર 17, એફ.પી. નંબર 47 પર આ પાર્ટી પ્લોટ બનાવવાનું આયોજન છે. જેમાં પણ વર-વધૂના રૂમ, સ્ટોર રૂમ, ઈલેક્ટ્રિક રૂમ, ઓફિસ, ટોઇલેટ બ્લોક, વોશ એરિયા, પાર્કિંગ ઝોન, લોન એરિયા જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. ત્રીજો પાર્ટી પ્લોટ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન નજીક બનશેઆ સિવાય વેસ્ટ ઝોનમાં રાજકોટનાં તાલુકા પોલીસ મથક નજીક પણ એક પાર્ટી પ્લોટ બનાવવામાં આવશે. આ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં સ્થળ નક્કી કરી લેવામાં આવ્યું છે. ટૂંક સમયમાં તેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્ટેન્ડિંગ કમિટીમાં તેની દરખાસ્ત કરીને આ પાર્ટી પ્લોટની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. આ ત્રણેય પાર્ટી પ્લોટ બનતા લોકોને કોમ્યુનિટી હોલની જેમ ઓછા ભાડાથી આપવામાં આવશે. જેથી લોકોના નાના મોટા પ્રસંગો સસ્તા ભાડામાં અને આધુનિક પાર્ટી પ્લોટ ખાતે યોજી શકાશે. આ પાર્ટી પ્લોટમાં આધુનિક સુવિધાઓ જેવી કે વિશાળ હોલ, ખુલ્લો લોન એરિયા, પૂરતી પાર્કિંગ સુવિધા, કિચન, ટોઇલેટ બ્લોક અને અન્ય જરૂરી માળખાકીય સુવિધાઓનો સમાવેશ થશે. બાંધકામ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ પાર્ટી પ્લોટનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે જેથી શહેરના લોકોને તેનો લાભ વહેલી તકે મળી શકશે. આ બંને પાર્ટી પ્લોટના નિર્માણથી રાજકોટ શહેરનાં લોકોને ખાનગી પાર્ટી પ્લોટ દ્વારા વસુલવામાં આવતા મસમોટા ભાડામાંથી મુક્તિ મળશે. ઉલ્લેખનીય છે કે, હાલ આધુનિક સમયમાં પાર્ટી પ્લોટનું ચલણ ખૂબ વધ્યું છે. ત્યારે હવે વધતી જતી વસ્તી અને શહેરીકરણને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા ત્રણેય ઝોન ખાતે પાર્ટી પ્લોટ બનાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. આ આધુનિક પાર્ટી પ્લોટ્સ તહેવારો, લગ્ન સમારોહ, કોર્પોરેટ ઇવેન્ટ્સ અને જાહેર મેળાવડા જેવા વિવિધ કાર્યક્રમો માટે પણ આદર્શ સ્થળ બની જશે. મનપા દ્વારા લેવાયોલો નિર્ણય શહેરના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થશે. અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ ખૂબ નજીવા ભાડામાં મળી રહેશે.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 7:00 am

ઓનલાઇન છેતરપિંડી:આહવા પોલીસકર્મી સાથે રૂ. 51 હજારની ઓનલાઇન છેતરપિંડી

ડાંગ જિલ્લાના આહવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસ જવાનનાં એકાઉન્ટમાંથી સાયબર ચીટરે રૂ. 51905 પડાવી લીધા હતા.પોલીસબેડામાં પાસેથી મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાનાં આહવા પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણથી ફરજ બજાવતાં પ્રફુલભાઈ સામતભાઈ દાફડા (ઉ.વ. 48, રહે. આહવા પોલીસ હેડકવાર્ટર) ગત તા. 4-06-2025 નાં રોજ આહવા પોલીસ સ્ટેશનમાં ફરજ પર હતા. તે દરમિયાન તેમનાં મોબાઈલ પર ફોન આવ્યો હતો. જેને જણાવ્યું હતું કે હું તમારો ભાઈબંધ શર્માજી બોલું છું મારા મિત્રએ તારા ફોન-પે પર રૂ. 35000 ટ્રાન્સફર કર્યા છે તે તમે મને મારા નંબર પર ટ્રાન્સફર કરી આપો અને ફોન ચાલુ રાખવા જણાવ્યું હતું. રૂપિયા જમા થયા છે કે નહીં તેનો મેસેજ આવ્યો હશે તે મોબાઈલમાં જોવા જણાવ્યું હતું. મોબાઈલમાં રૂપિયા જમા થવાનો મેસેજ આવ્યો ન હતો તેમજ મોબાઈલ એપથી એકાઉન્ટ ચેક કરતાં રૂ. 35000 આવ્યા ન હતા, તેમ છતાં ભાઈનો અકસ્માત થયો છે રૂ. હોસ્પિટલમાં જમા કરવાના છે, જમા કરેલા રૂપિયા તમારામાં જમા થઈ જશે. મારે તાત્કાલિક રૂપિયાની જરૂર હોય સ્કેનર મોકલાવી પહેલાં રૂ.2000 પછી રૂ.8000 અને રૂ.39907 અને રૂ.1997 વારાફરતી કુલ-રૂ. 51905 નંખાવી લીધા બાદ ચીટરે મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દેતાં તેમની સાથે સાયબર ફ્રોડ થયાનું ખબર પડતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 7:00 am

પુરુષોત્તમ ચવ્હાણ તથા તેમની માતાના ડિમેટ ખાતાં ફ્રિઝ કરી દેવાયાં

છેતરપિંડી કેસમાં આઈપીએસ અધિકારીના પતિ સામે કાર્યવાહી સસ્તામાં ફલેટના નામે ૨૫ કરોડની છેતરપિંડીની મોટાભાગની રકમનું શેરબજારમાં રોકાણ કરાયું હોવાનું તપાસમાં ખુલ્યું મુંબઇ - મુંબઇ પોલીસની આર્થિક ગુના શાખા (ઇઓડબ્લ્યુ)અ છેતરપિંડીના કેસમાં આઇપીએસ અધિકારી રશ્મિકરંદીકરના ૫૩ વર્ષીય પતિ પુરુષોત્તમ ચવ્હાણ અને તેમની માતા ઉર્મિલાના ડીમેટ ખાતા ફ્રીઝ કરી દીધા છે. પોલીસે જણાવ્યું હતું કે રૃા.૨૪.૭૮ કરોડની છેતરપિંડીની રકમમાંથી મોટાભાગની રકમ ચવ્હાણ અને તેમની માતાના નામે શેરબજારમાં રોકવામાં આવી હતી.

ગુજરાત સમાચાર 2 Jul 2025 7:00 am

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ : અમલીકરણ ટાણે ડખો થાય જ છે!

- મહારાષ્ટ્રમાં ત્રિભાષી ફાર્મ્યુલા ફુસ થઈ, આ પહેલાં દક્ષિણ ભારતમાં પણ હિન્દીનો વ્યાપક વિરોધ થયો જ છે - આઝાદીની લડત સમયે દેશને એકજૂથ કરનારી અને સર્વસ્વિકૃત ભાષા હિન્દી આઝાદી બાદ ભારતમાં દાયકાઓથી વિવાદની ભાષા બની ગઈ છે : એજ્યુકેશન પોલિસીમાં હિન્દીનો સમાવેશ કરાયો ત્યારથી દક્ષિણ ભારતમાં ભાષાનો દાવાનળ સળગતો જ રહ્યો છે : ભારતમાં બંધારણ હેઠળ 22 ભાષાઓ સ્વીકારવામાં આવી છે. 2011ની વસતી ગણતરી પ્રમાણે દેશમાં 19,500 ભાષાઓને માતૃભાષાનો દરજ્જો અપાયેલો છે : આઝાદી બાદ હિન્દીને રાષ્ટ્ર ભાષા બનાવવાની વાત આવી પણ સાઉથ ઈન્ડિયાના રાજ્યો દ્વારા તેનો ખૂબ જ વિરોધ કરાયો : બંધારણના આર્ટિકલ ૩૪૩ હેઠળ હિન્દીને દેવનાગરી લિપીમાં ભારતની માન્ય ભાષા ગણવામાં આવે છે, બંધારણ દ્વારા માન્ય ૨૨ ભાષાઓમાં તેનું સ્થાન છે કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં હિન્દી ભાષા મુદ્દે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમાંય રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ સાથે સાથે હિન્દીને દેશભરની શાળાઓમાં લાગુ કરવા અંગે પણ કામગીરી કરાઈ રહી છે. આ મુદ્દે ભાજપ શાસિત મહારાષ્ટ્રમાં જ વિવાદનો મધપૂડો છંછેડાયો છે.

ગુજરાત સમાચાર 2 Jul 2025 7:00 am

શિક્ષણ:સીટુડી : સરકારી-અનુદાનિત ડિપ્લોમા ઇજનેરી કૉલેજોની 7600થી વધુ બેઠક માટે નોંધણી શરૂ

સી ટુ ડી પ્રવેશ પ્રક્રિયા (પ્રમાણપત્રધારકોને ડિપ્લોમા બીજા વર્ષમાં સીધા પ્રવેશ)ના ભાગરૂપે બે ઓનલાઈન રાઉન્ડ પૂર્ણ થયા પછી સરકારી-અનુદાનિત 36 કૉલેજની ખાલી રહેલી 7600થી વધુ બેઠક પર પ્રવેશ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનનો આરંભ 30 જૂન સોમવારથી થયો છે, જે અંતર્ગત લાયકાત ધરાવતા ઉમેદવારો 14 જુલાઈ સુધીમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન https;/gujdiploma.admissions.nic.in/ પર કરાવી શકશે. રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ મેરિટ લિસ્ટ 18 જુલાઈએ https//acpdc.gujarat.gov.in પર જાહેર કરાશે. એસીપીડીસી (એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ)માં 2025ના પ્રવેશના ભાગરૂપે ડિપ્લોમા ઈજનેરી બીજા વર્ષમાં સીધા પ્રવેશ અનુસંધાને ઓનલાઈન બે રાઉન્ડ પૂર્ણ થયા બાદ રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તેવા, સી ટુ ડી પ્રવેશ માટે લાયક ઉમેદવારોના હિતમાં સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ કૉલેજોમાં ઉપલબ્ધ બેઠકો પર પ્રવેશની છેલ્લી તક અપાઈ છે. જે અંતર્ગત 30 જૂનથી 14 જુલાઈ સુધીમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યા બાદ ખાલી બેઠકો પર પ્રવેશ માટે 18થી 22 જુલાઈ દરમ્યાન નવું રજીસ્ટ્રેશન કરાવ્યું હોય, મેરિટ નંબર ધરાવતા લાયક ઉમેદવારોએ અગાઉ રજીસ્ટ્રેશન કરાવેલ, મેરિટ નંબર ધરાવતા ઉમેદવારોએ કન્સેન્ટ આપી કૉલેજને લગતી નવી ચોઈસ ફિલિંગ કરી આગળની પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવાનો રહેશે. જે કૉલેજોને પ્રવેશ ફાળવાયો હોય તેની વિગતોની પ્રસિદ્ધિ 25 જુલાઈના રોજ વેબસાઈટ પર કરાશે. જ્યારે 25થી 30 જુલાઈ દરમ્યાન સી ટુ ડી માટે પ્રવેશ કન્ફર્મ કરાવી ઓનલાઈન ફી ભરી શકાશે. સેલ્ફ ફાઈનાન્સ કૉલેજોની ખાલી રહેલી બેઠકોની વિગતો પ્રવેશ કમિટીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. સી ટુ ડીની ઉપલબ્ધ બેઠક કૉલેજ સંસ્થા બેઠક સરકારી 31 7458 ગ્રાન્ટ ઈન એઈડ 5 166

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:58 am

મનપા દ્વારા થેલી અભિયાન:નવસારી મનપાએ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા શરૂ કર્યું અભિયાન

નવસારી શહેરમાં પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ઘટાડવા મનપાએ જૂના કપડા આપો, નવી કાપડની થેલી લઈ જાવ અભિયાન શરૂ કર્યું છે. સરકારે 120 માઈક્રોનથી ઓછીની પ્લાસ્ટિકની સિંગલ યુઝ થેલી પ્રતિબંધિત કરી છે છતાં તેનો વપરાશ અને વેચાણ નવસારી શહેરમાં થઈ રહ્યું છે. મહાપાલિકા આ અંગે ચેકીંગ કરી જથ્થો કબજે કરી દંડ પણ કરી રહી છે આમ છતાં પૂર્ણ સફળતા મળી નથી, આ સ્થિતિમાં મનપાએ હવે એક નવું અભિયાન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, જેની શરૂઆત 3 જુલાઇથી શરૂ થઈ રહી છે. આ અભિયાન અંતર્ગત શહેરના નાગરિકો પોતાના જૂના કપડા મનપાને આપશે, જેની થેલી મનપા વિનામૂલ્યે બનાવી આપશે. સખી મંડળની બહેનો આ થેલી બનાવી આપશે. આ અભિયાનનો મુખ્ય હેતુ કપડાની થેલીના ઉપયોગ થકી પર્યાવરણ માટે હાનિકારક પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ઘટાડવાનો છે. આ પ્રોજેક્ટ ગુજરાત રાજ્ય અર્બન લાઇવ લી હુડ મિશન અંતર્ગત શરૂ કરવામાં આવ્યો છે. જે હાલ તો 31મી ઓક્ટોબર સુધી યથાવત રાખવાની જાહેરાત કરી છે. પ્રોજેક્ટનો વધુને વધુ લાભ લેવાય એવી અપીલ પણ કરવામાં આવી છે.4 જગ્યાએ 2 દિવસ કામગીરી.. મનપાએ આ અભિયાન માટે શહેરમાં 4 સ્થળ નિર્ધારિત કર્યા છે,જેમાં મનપા મુખ્ય કચેરી દુધિયા તળાવ, સિટી સિવિક સેન્ટર જયશંકર પ્લોટ નજીક, સિટી સિવિક સેન્ટર વિજલપોર અને કબીલપોર વિભાગીય કચેરીનો સમાવેશ થાય છે. દર ગુરુવાર અને શુક્રવારે સવારે 11થી સાંજે 5 સુધી કામગીરી કરાશે.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:58 am

ડિજિટલ ઇકોનોમીના યુગમાં સીએનું મહત્ત્વ વધ્યું:દેશમાં રજિસ્ટર્ડ 4.25 લાખ સીએ, તેમાંથી રાજ્યમાં 10 હજાર સહિત 1.25 લાખ મહિલા

અમદાવાદ, ગુજરાત સહિત દેશમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ ડેની ઉજવણી કરાશે ત્યારે દેશના, ગુજરાતના અને વેસ્ટર્ન ઇન્ડિયાના ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ મેમ્બર્સની સંખ્યાની વિગત રજૂ કરવાનો પ્રયાસ કરાયો છે. હાલમાં દેશભરમાં ભારતમાં કુલ 4.25 લાખ જેટલા સીએ મેમ્બર્સ રજિસ્ટર્ડ થયા છે, જેના એક તૃતીયાંશ રેશિયોના હિસાબે વેસ્ટર્ન ઈન્ડિયા રીજિયનમાં 1.25 લાખ કરતા વધુ મેમ્બર્સ નોંધાયેલા છે. આ 1.25 લાખ સીએમાંથી એક તૃતીયાંશના હિસાબે ગુજરાતમાં 35 હજારથી વધુ સીએ મેમ્બર્સ છે. કુલ 35000માંથી 15000થી વધુ સીએ માત્ર અમદાવાદમાં જ છે તેમ સીએ ઈન્સ્ટિટ્યૂટ અમદાવાદ બ્રાન્ચના ચેરમેન નિરવ અગ્રવાલે જણાવ્યું હતું. નિરવ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે‘દેશભરમાં નોંધાયેલા કુલ 4.25 લાખ ચાર્ટડ એકાઉન્ટન્ટમાંથી ભારતભરમાં એક તૃતીયાંશના હિસાબે મહિલા સીએની સંખ્યા 1.25 લાખ જેટલી છે. જ્યારે વેસ્ટર્ન ઇન્ડિયા રીજીયનના કુલ 1.25 લાખ ચાર્ટડ એકાઉન્ટન્ટસમાંથી એક તૃતીયાંશના હિસાબે મહીલા સીએની ઓવરઓલ સંખ્યા 45000ની છે. જ્યારે ગુજરાત માટે નોંધાયેલા કુલ 30,500થી વધુ સીએ અંતર્ગત એક તૃત્યીંયાશના હિસાબે 10000 મહીલા સીએ ગુજરાત માટે નોંધાયેલા છે. બીજી તરફ સીએ ઈન્સ્ટિટ્યુટ અમદાવાદ બ્રાન્ચ માટે કુલ મળીને 13,500 સીએ નોંધાયા છે, જે પૈકીના એક તૃતીયાંશના હિસાબે આશરે 4000 મહીલા સીએ નોંધાયેલા છે.’ ડિજિટલ ઇકોનોમીના યુગમાં સીએનું મહત્ત્વ વધ્યુંગ્લોબલાઈઝેશન અને નોલેજ બેઝ ઈકોનોમીના યુગમાં ઉદ્યોગોનુ નોંધપાત્ર પ્રમાણ વધી રહ્યું છે. ડીજીટલ ઈકોનોમીના યુગમાં સીએની કામગીરી બિઝનેસ અને ઈન્ડસ્ટ્રીઝ એમ દરેક ક્ષેત્રમાં સીએની આવશ્યકતા હોય છે. ખાસ કરીને સીએનુ કામ અથવા બિઝનેસ વ્હાઈટ કોલર કામ માનવામાં આવે છે. જેના કારણે પુરુષોની સાથે સીએનો કોર્સ પસંદ કરનારી મહીલાઓનુ પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે > અનિકેત તલાટી, પૂર્વ પ્રેસિડેન્ટ, ચાર્ટડ એકાઉન્ટન્સ ઓફ ઇન્ડિયા,

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:58 am

વરસાદ યથાવત:હજુ જિલ્લામાં ઝાપટાંનો દોર જારી, પૂર્ણાનો કુરેલ બ્રિજનો માર્ગ બંધ

નવસારીમાં રાત્રે વધુ પોણા બે ઇંચ અને જલાલપોરમાં સવા ઇંચ વરસાદ પડ્યો હતો. નવસારી પંથકમાં સોમવારે મધ્યરાત્રિ સુધી વરસાદ ખાસ પડ્યો ન હતો. જોકે ત્યારબાદ વાતાવરણ પલટાયું અને સવાર સુધી ઝાપટાં પડતા રહ્યાં હતા. મધ્યરાત્રિથી સવાર સુધીમાં પોણા બે ઇંચ પડી ગયો હતો. નજીકના જલાલપોરમાં પણ સવા ઇંચ પડ્યો હતો. મંગળવારે સાંજે પુરા થતા 24 કલાક દરમિયાન અન્ય તાલુકામાં પડેલ વરસાદ જોતા ગણદેવીમાં 4 મિમી, ચીખલીમાં 8 મિમી, વાંસદામાં પોણો ઇંચ અને ખેરગામમાં અડધો ઇંચ નોંધાયો હતો. અહીં ઉલ્લેખનીય છે જિલ્લામાં વરસાદની ગતિ ધીમી પડી છતાં કેટલાક લો લેવલ બ્રિજ પરના માર્ગ મંગળવારે પણ બંધ રહ્યાં હતા,જેમાં પૂર્ણા નદી પરનો કુરેલ સુપા લો લેવલ બ્રિજનો પણ સમાવેશ થાય છે. અગાઉના વર્ષની જેમ ચાલુ સાલ પણ પૂર્ણા નદી પર બનેલ આ લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળતા મુશ્કેલી સર્જાવાની શરૂઆત થઇ ગઇ છે.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:57 am

ઇન્કવાયરીનો આદેશ:મફતલાલ તળાવની કામગીરી અંગે મનપાનો તપાસનો આદેશ

નવસારીના મફતલાલ તળાવમાં ચાલતા કામમાં શરૂઆતમાં જ પાળમાં તિરાડો પડતા ઉભા થયેલ સવાલોને લઇ મનપાએ ‘ઇન્કવાયરી’નો આદેશ જારી કર્યો છે. નવસારીના પશ્ચિમે જલાલપોર વિસ્તારમાં પાણીની સમસ્યા હલ કરવા દેસાઇ તળાવ સાથે નજીકના મફતલાલ તળાવને જોડવા તથા મફતલાલ તળાવનો વિકાસ કરવાનો નિર્ણય લીધો હતો. જે અંતર્ગત 3.50 કરોડથી વધુના ખર્ચે કેટલાક સમયથી કોન્ટ્રાકટર દ્વારા કામગીરી પણ હાથ ધરાઇ છે. સ્થ ળ ઉપર તળાવની પાળ સહિતની કેટલીક કામગીરી પૂરી થઇ છે ત્યાં અનેક જગ્યાએ પાળમાં તિરાડો અને ગાબડા પણ પડ્યાનું બહાર આવ્યું છે, જેનો અહેવાલ સોમવારે ‘દિવ્ય ભાસ્કર’મા પણ પ્રસિદ્ધ થયો હતો. આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ નવસારી મહાપાલિકાએ મંગળવારે થયેલ કામગીરીની તપાસ (ઇન્કવાયરી) કરવાના આદેશ જારી કરાયા છે. આ તપાસ પૂર્ણ થયા બાદ જરૂર જણાયે નિયમ મુજબ દંડ સહિતના પગલાં પણ લેવાશે એમ જાણવા મળ્યું છે.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:57 am

આંગણવાડી કાર્યકરોનું અલ્ટીમેટમ:ચૂંટણીમાં BLO તરીકે કામ ન કરવાનું આંગણવાડી કાર્યકરોનું અલ્ટીમેટમ

નવસારી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં બીએલઓ તરીકે હાલ આંગણવાડી વર્કરો કામ કરે છે જેને લઇ કુપોષણ બાળકો અને પૂર્વ પ્રાથમિક શિક્ષણને અસર થતી હોય ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ નવસારી જિલ્લા આંગણવાડી વર્કરોએ આવેદન આપી રોષ વ્યક્ત કર્યો હતો. નવસારીના આંગણવાડી વર્કરોએ મામલતદારને આવેદન આપતા જણાવ્યું કે આંગણવાડી વર્કરો બીએલઓ તરીકે ચૂંટણી વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કામ કરે છે. એક તરફ કેન્દ્ર-રાજ્ય સરકાર અને સ્થાનિક અધિકારીઓ દ્વારા ફરજિયાત રીતે આઇસીડીએસ નું પોષણ આહાર આપવાનું, મોબાઈલ ડેટાની કામગીરી અને પી.એચ.આર વિતરણ કરવાનું અને 100 ટકા કામગીરી કરવાનું સતત દબાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે વધારાની બી.એલ.ઓ તરીકે કામગીરી શકય જ નથી અને રાજ્ય સરકાર દ્વારા આઇસીડીએસના કામો સિવાય અન્ય કામગીરી સોંપવામાં ન આવે તેવા આદેશો અને પરિપત્ર પણ સામેલ છે. આંગણવાડીની બહેનો બીએલઓની વધારાની કામગીરી કરે તો હજારો કુપોષિત બાળકોના પોષણ અને આરોગ્ય ઉપર ગંભીર અસર અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ ઉપર પણ અસર પડી શકે છે. આ કામગીરી અન્ય સરકારી કર્મીઓ અને લાખો શિક્ષિત બેરોજગારોને સોંપવામાં આવે તેવો તાકીદે નિર્ણય કરવા જણાવ્યું હતું. જેથી તેમને પણ રોજગારી મળે અને તેઓ પરિવારનું ભરણપોષણ કરવામાં મદદરૂપ થઇ શકે.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:56 am

આત્મહત્યા:દુબઈમાં એક જ પરિવારના પાંચની હત્યા કરનારા કેદીએ જેલમાં ગળાફાંસો ખાધો

દુબઈમાં એક જ પરિવારના 5 સભ્યોની હત્યા કરનારા આરોપી રવજી પવારે સાબરમતી સેન્ટ્રલ જેલમાં ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આરોપીને સેસન્સ કોર્ટે ફાંસીની સજા કરી હતી. જેને હાઈકોર્ટમાં પડકારતા ફાંસીની સજાને આજીવન કેદમાં તબદીલ કરાઈ હતી. ડિપ્રેશનમાં આવીને આરોપીએ આત્મહત્યા કરી હોવાનું મનાય છે. રમેશભાઈ સાગર, પત્ની, માતા અને બે સંતાનો સાથે 1990 ના વર્ષમાં દુબઈમાં સ્થાયી થયા હતા. જો કે પરિવારના સભ્યોને મદદરુપ થવા માટે તેઓ ચીખલીના રવજી પવારને દુબઈ લઈ ગયા હતા. જો કે 1992 માં રવજી પવારે રમેશભાઈ અને પરિવારના પાંચેય સભ્યોની હત્યા કરીને દાગીના - પૈસા લૂંટીને ભારત ભાગી આવ્યા હતા. આ માહિતી દુબઈ પોલીસ દ્વારા ભારત સરકારને આપવામાં આવી હતી. સીબીઆઈએ 1992 માં જ રવજી પવારની ધરપકડ કરી હતી. ત્યારથી તેમને સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા. જો કે સેસન્સ કોર્ટે ઓગસ્ટ 2011 ના રોજ રવજી પવારને સામુહિક હત્યાકાંડ, ચોરીના આરોપમાં ફાંસીની સજા કરી હતી.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:56 am

સપનાં અને મહેચ્છાઓ પળવારમાં તૂટીને વિખરાઈ ગઈ:પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા 4 મેડિકલ સ્ટુડન્ટને ડોક્ટરની સાથે સાથે મોડેલ, આર્ટિસ્ટ બનવું હતું

ડૉક્ટર બનવાનું સ્વપ્ન સાથે બી. જે. મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરતા 4 તેજસ્વી વિદ્યાર્થીના પ્લેન ક્રેશમાં મૃત્યુ થયાં હતા. આ ચારેય વિદ્યાર્થીઓની ફિઝિશિયન, બાળ સર્જન, ન્યુરોલોજીસ્ટ બનવાની મહેચ્છા હોવાનું ચારેય સ્ટુડન્ટના પરિજનો સાથે કરેલી વાતચીત પરથી જાણવા મળ્યું છે. મહત્ત્વની વાત એ છે કે અચાનક ઘટેલી ઘટનામાં પુત્ર ગુમાવનારાં માતા-પિતા સહિત સમગ્ર પરિવાર હજુ પણ ઘેરા શોકમાં ગરકાવ હોવાનું ‘દિવ્ય ભાસ્કરે’ ચારેય મેડિકલ સ્ટુડન્ટના પરિજનો સાથે કરેલી વાતચીતમાં જાણવા મળ્યું છે. વિમાન દુર્ઘટનામાં આવા કંઈક સપનાં અને મહેચ્છાઓ પળવારમાં તૂટીને વિખરાઈ ગઈ હતી. રાકેશની બહેન જલ્પા દિયોરાએ જણાવ્યું હતું કે, મારો ભાઇ શાળાનો સ્કોલર વિદ્યાર્થી હતો. રણ 12માં ડિસ્ટ્રીક્શન માર્કસ સાથે પાસ થયો હતો. તેમજ એનઇઇટી(નીટ)ની પરિક્ષા 720માંથી 660 માર્કસ સાથે પ્રથમ ટ્રાયલે પાસ કરી હતી. તેમજ જેઇઇ-એની પરીક્ષા પણ પાસ કરી હતી. આર્યનના ભાઇ આદિત્ય રાજપુતે જણાવ્યું હતું કે, આર્યને ધોરણ-12માં 92 ટકા અને નીટની પરીક્ષામાં 695 માર્કસ મેળવ્યા હતા. પ્લેન ક્રેશની ઘટનાની આગલી રાત્રે મારી આર્યન સાથે વાતચીત થઇ હતી. અમે બે ભાઇ અને 1 બહેનમાંથી હવે અમે માનવને ગુમાવ્યો છે. અમે હજુ માની શકતા નથી. માનવ ભાદુના પિતા દિલીપ ભાદુએ જણાવ્યું હતું કે માનવનું મેડિકલ ડિગ્રી લીધા બાદ ન્યુરોસર્જન બનવાનું સ્વપ્ન હતું. તેને ભણવાની સાથે બાઇક અને કાર ડ્રાઇવિંગની સાથે મોડેલિંગ કરવાની ઇચ્છા હતી. ધોરણ-12માં 98 ટકા માર્કસ સાથે તેમજ નીટની પરીક્ષા પણ સારા માર્કસે પાસ કરી હતી. જયપ્રકાશ ચૌધરીના મામાના દીકરા મંગલારામે જણાવ્યું હતું કે, જયપ્રકાશ ભણવામાં હોશિયાર હતો, જોધપુર-બિકાનેરની મેડીકલ કોલેજમાં એડમિશન મળતું હોવા છતાં અમદાવાદની સિવિલમાં ગરીબ દર્દીઓને સસ્તા દરે સારવાર થતી હોવાથી બી.જે. મેડિકલ એડમિશન લીધુ હતું.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:55 am

વાતાવરણ થયું ઉગ્ર:બોરીયાચ ટોલનાકે જિલ્લાના કારચાલકો પાસે ટોલ વસૂલાતા બબાલ

નવસારી જિલ્લાના બોરીયાચ ટોલનાકા ઉપર ઘણાં વર્ષો પહેલા જિલ્લાના વાહનો ઉપર ટોલ વસૂલાતા બબાલ થઇ હતી અને ત્યારબાદ જિલ્લાના એટલે કે જીજે-21 નંબરના વાહનો ઉપર ટોલ વસૂલાતો ન હતો. આમ હાલ સુધી ટોલ કપાતો ન હતો પરંતુ 29 જૂનના રોજથી ટેક્ષી પાસિંગની કાર પાસે ટોલ કાપતા બબાલ થઇ હતી. આ વિસ્તારના કારચાલકો 30 જૂનના રોજ બોરીયાચ ટોલનાકા ઉપર રજૂઆત કરવા પહોંચી ગયા હતા અને ભારે ઉગ્ર બોલાચાલી થઇ હતી. કારચાલકોનું કહેવું છે કે ટોલનાકા ઉપરથી કાર પસાર થાય ત્યારે કર્મચારીઓ દ્વારા કારના ફોટા પાડી લે છે અને ઓફિસમાં જઈને ટોલ કપાવાય છે અને જે તે કાર ચાલકોના ફોનમાં મેસેજ આવે છે. વાતાવરણ ઉગ્ર બનતા ટોલ અધિકારીઓએ હવે પછી ટોલ ન કાપવાની ખાતરી આપતા મામલો શાંત પડ્યો હતો.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:54 am

ભાસ્કર એક્સક્લુઝિવ:જૈન સમાજની પહેલ: દીકરીઓને સંસ્કાર સિંચનમાટે 100 કરોડની સ્કૂલ, 1200ને પ્રવેશ અપાશે

શહેરમાં તપોવન વિદ્યાવિહાર દ્વારા પહેલી ગર્લ્સ સ્કૂલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રકારની સ્કૂલનું નિર્માણ કરવાનું ચાંદખેડા વિસ્તારમાં આવેલા તપોવન સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા 2 વર્ષ પહેલાં નક્કી કરવામાં આવ્યું હતું. સંસ્થાના અગ્રણીના જણાવ્યા અનુસાર આ યુગપ્રધાન રાષ્ટ્રસંત પરમપૂજ્ય પંન્યાસપ્રવર ચંદ્રશેખરવિજયજી મહારાજા દ્વારા ભાવિ પેઢીના નિર્માણ માટે તપોવન સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી અને તે જ ઉદ્દેશને આગળ વધારતાં પરમપૂજ્ય હંસકીર્તિસૂરીશ્વરજી મહારાજા અને પરમપૂજ્ય ભવ્યકીર્તિ સૂરીશ્વરજી મહારાજા દ્વારા તપોવન વિદ્યાવિહારની સ્થાપના કરવામાં આવી રહી છે. આ પ્રકારની સ્કૂલ બાંધવાનો મુખ્ય હેતુ એક છે કે આજના આધુનિક સમયમાં દીકરીઓમાં અભ્યાસ સાથે સંસ્કારનું સિંચન થાય, સાથેસાથે ‘દીકરીઓને નાની ઉંમરથી જ સંસ્કાર સાથે તૈયાર કરીશું તો તે દીકરી આગળ જઈને બંને પરિવારને તારશે’. આ સ્કૂલમાં એક સાથે 1200 દીકરીને ભણાવાશે. વાસણા વિસ્તારમાં આવેલા લાવણ્ય કોલોનીની સામે આ સ્કૂલને તૈયાર કરવામાં આવી છે. દીકરીઓને CBSC અભ્યાસ ક્રમ મુજબ અભ્યાસ શીખવામાં આવશે. તેમ ને વધુમાં કહ્યું કે 7 માળની આ સ્કૂલ 26 માર્ચ 2026ના રોજ વિશ્વ મહિલા દિવસના દિવસથી શરૂ કરી દેવામાં આવશે. અને 8 માર્ચના રોજથી આ સ્કૂલની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. કંચનબેન ભીખાલાલ શાહ પરિવાર દ્વારા મુખ્ય નામનો લાભ લેવામાં આવ્યો છે, અને આ સ્કૂલમાં તેમના તરફથી મુખ્ય યોગદાન મળ્યું છે. કેટલા કરોડના ખર્ચે સ્કૂલ તૈયાર કરાઈપ્રતીક વાલાણી ટ્રસ્ટી ત્યાગ ટ્રસ્ટના જણાવ્યા અનુસાર આ સ્કૂલને આશરે 100 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે, સાથે એક વર્ષના ટૂંકા ગાળામાં આ સ્કૂલને બનવામાં આવી છે. મહત્વની વાત એ છે, કે આ સ્કૂલ માટે માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં આશરે 20 કરોડનું દાન એકત્રિત કરવામાં આવ્યું છે. આ સ્કૂલનું સંચાલન જૈન સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવશે. ટૂંક સમયમાં એડમિશન પ્રોસેસ શરૂ કરવામાં આવશે પરંતુ અત્યારથી જ લોકોમાં આ સ્કૂલ પ્રત્યે જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને એડમિશન માટે પૂછપરછ ચાલુ છે. સ્કૂલમાં આવી સુવિધાઓ હશે

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:54 am

કરપીણ અકસ્માત:ખરસાડ ગામ પાસે બાઇક સ્લિપ થતાં છાપર ગામના યુવકનું મોત, 1 ઈજાગ્રસ્ત

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં એક ગમખ્વાર બાઇક અકસ્માત સર્જાયો છે. અબ્રામા-અમલસાડ રોડ પર ખરસાડ ગામની સીમ નજીક આ દુર્ઘટના બની હતી. નવસારીથી છાપર ગામ તરફ જઈ રહેલા બે યુવકોની બાઇક અચાનક સ્લિપ થઈ ગઈ હતી. અકસ્માતમાં છાપર ગામના વિજય પટેલનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. તેમની સાથે સવાર અન્ય એક યુવકને ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં અમલસાડ આઉટ પોસ્ટની પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે અકસ્માત મોતની નોંધ લઇ જવાબદાર સામે કાર્યવાહી કરવા માટે વધુ તપાસ કરી રહ્યાં છે.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:53 am

ઠગાઈ:નવસારીના રહીશને રાજસ્થાનના ગાય-ભેંસના વેપારીએ 46 હજારનો ચૂનો ચોપડ્યો

નવસારીના દાંતેજમાં રહેતાં ખેડૂતે સોશિયલ મીડિયા ઉપર ગાય-ભેંસનો ફોટો જોઈ રાજસ્થાનના વેપારીનો સંપર્ક કર્યો અને ગાય અને ભેંસના વેચાણના પૈસા મંગાવી રૂ.46 હજારની છેતરપિંડી કરી હતી. દાંતેજ ગામના હર્ષદભાઈ અમૃતભાઈ પટેલે વિજલપોર પોલીસમાં ફરિયાદ નોંધાવી કે તેઓએ સોશિયલ મીડિયામાં રાજસ્થાનના વેપારી દ્વારા વેચવા કાઢેલી ગાય-ભેંસના ફોટા જોઈ વાત કરી હતી અને રાજસ્થાનના વેપારી સોનુકુમાર ફૂલચંદ્ર જાટ (રહે. પાટિયા જયરામપૂર, રાજસ્થાન)નો સંપર્ક કર્યો હતો. ગાય-ભેંસના 95 હજાર નક્કી કર્યા અને ટોકન પેટે રૂ.10 હજાર આપ્યા હતા અને બોર્ડર ઉપર તમારી ગાય-ભેંસ આવી ગઈ હોય રૂ. 25 હજાર ડીઝલના અને તેમને જરૂર હોવાનું જણાવી રૂ 46500 બદદાનતથી કઢાવ્યા હોય સાયબર ક્રાઇમ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવતા પીઆઈ એન.આઇ.રાઠોડ તપાસ કરી રહ્યાં છે.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:53 am

સિટી એન્કર:માતાની કિડની ફેલ થઈ, પુત્રની મેચ થઈ, પણ વજન 110 કિલો હોવાથી ડોક્ટરે ના પાડી, 30 કિલો વજન ઉતારી કિડનીદાન કર્યું

માતા કે પિતાએ પુત્રને કિડની આપીને નવજીવન આપનાર કિસ્સા ઘણા જોવા મળતાં હોય છે. જોકે આ વચ્ચે માત્ર 14 વર્ષની ઉંમરે માની પીડાને જોઈને લીધેલા સંકલ્પને માત્ર 20 વર્ષની ઉંમરે જ કિડની ડોનેટ કરવાનો નિર્ણય લઈને માતાને પીડામાંથી મુક્ત કરી છે. જામનગરનો 20 વર્ષીય તેજસ લશ્કરીની માતા હર્ષિદાબેનની 2015માં કિડની ફેલ થઈ હતી. જે બાદ 2020માં તબિયત લથડતાં ડાયાલિસિસ કરવાની ફરજ પડી હતી. માતાની તબિયત વધુ બગડતી હોવાને પગલે પુત્રએ કિડની ડોનેટ કરવાનો વિચાર આવ્યો અને અન્ય ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર લોકોની સલાહ બાદ આ પ્રોસેસ શરૂ કરી હતી. જોકે શરૂઆતમાં પુત્રનું વજન 110 કિલો હોવાને પગલે તે ડોનર ન બની શકે. જેથી નક્કી કરેલા નિર્ણય સુધી પહોંચવા ડોક્ટરને કેટલું વજન જોઈએ જેથી ડોક્ટરે 80 કિલોની વાત કરતાં તેજસે માત્ર 6 મહિનામાં કસરત, ડાઈટિંગની મદદથી 30 કિલો વજન ઘટાડીને કિડની ડોનેટ માટે ફરી પ્રોસેસ કરી જેમાં સફળતા મળતાં 27મી જૂને ખાનગી હોસ્પિટલમાં સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાઈ હતી. નર્સિંગનો અભ્યાસ કરતા પુત્ર તેજસ લશ્કરીએ જણાવ્યું કે, 14 વર્ષનો હતો ત્યારે સોશિયલ મીડિયા પર માતાને બીમારીમાંથી બહાર કાઢવા માટે ઘણું સર્ચ કર્યું. મારો ઈરાદો મજબૂત બન્યો અને મેં આ અંગે સીધા જઈને માતાને વાત કરી, માતાએ ના પાડી પરંતુ તેમને પણ આવા વિડીયો બતાવીને તેમજ પિતાના સાથ સહકારથી તેઓને રાજી કર્યાં. વધુ વજનને ઘટાડો એક ચેલેન્જ હતું પણ માતાના દુઃખ સામે તે બધુ કંઈ ન હતું. માતા-પુત્રનું બ્લડ ગ્રૂપ અલગ હતું, નવી પદ્ધતિથી ટ્રાન્સપ્લાન્ટઅત્યાર સુધીમાં 800 કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે. આટલી નાની ઉંમરે કિડની આપીને માતાને સાજા કરવાની જીદ પહેલીવાર જોઈ. પુત્રને વજન વધુ હોવાથી ના પડાઈ તો વજન ઉતારીને ફરીથી આવ્યો અને ટ્રાન્સપ્લાન્ટ માટે યોગ્ય થયો. માતાનું બ્લડ ગ્રૂપ ઓ અને પુત્રનું બી હોવાને પગલે થોડો સમય વધુ લાગ્યો પરંતુ નવી આવેલી એલીઈન કોમોટીઅર બ્લડ ગ્રુપની નવી પધ્ધતિથી ટ્રાન્સપ્લાન્ટ સફળ રહ્યું. > ડો. સિદ્ધાર્થ માવાણી, સિનિયર નેફ્રોલોજિસ્ટ-ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:52 am

બાળકોની વેદના:દમણ દુનેઠામાં ગંદા પાણીમાંથી શાળાએ જવા બાળકો મજબૂર

દમણ જિલ્લાના દુનેઠા ગ્રામ પંચાયતને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ભરાવાથી ખારીવાડ પ્રાથમિક શાળામાં જતા બાળકો અને શિક્ષકોને મુશ્કેલી પડી રહી છે. બાળકોને દરરોજ ગટરમાંથી નીકળતા ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. શિક્ષકો અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થા નિક લોકોએ જણાવ્યું હતું કે આ રસ્તા પર ગંદુ પાણીના ભરાવાથી બાળકો શાળાએ પહોંચી શકતા નથી. પાણીમાંથી પસાર થતા બાળકોએ જણાવ્યું કે લગભગ 15 દિવસથી પાણી ભરાઈ રહ્યું છે. જેના કારણે અમે પાણીમાંથી પસાર થઈને શાળાએ જઈએ છીએ. દર વર્ષે વરસાદની ઋતુમાં આ જ સ્થિતિ રહે છે. આમ છતાં સરપંચ કે સંબંધિત વિભાગ આ રસ્તા પર કોઈ કામ કરાવતા નથી. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે આ રસ્તો 2018માં બનાવવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને ગટર નાખવા માટે ખોદી કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ રસ્તાની હાલત દયનીય બની ગઈ છે અને દર વર્ષે આ રસ્તા પર પાણી ભરાઈ જાય છે. વરસાદમાં પાણી ભરાયા બાદ આ રસ્તા પર પથ્થર નાખવામાં આવે છે, પરંતુ અનેક વખત ફરિયાદ કરવા છતાં આજ સુધી સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:51 am

પોલીસ કાર્યવાહી:વલસાડ,પારડી ઘરફોડ ચોરીનો ધોત્રે ગેંગનો સુત્રધાર વસઇથી ઝડપાયો

વલસાડ શહેર અને ભરૂચના બે ચોરીના ગુના અને મહારાષ્ટ્રમાં અનેક ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા ધોત્રે ગેંગના મુખ્ય સૂત્રધારને વલસાડ એલસીબી અને સિટી પોલીસની ટીમે મહારાષ્ટ્રના વિરાર વસઇ ઇસ્ટ ખાતેથી ઝડપી પાડી વલસાડ લાવવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં 10, પારડીમાં 3, વલસાડ 1 અને ભરૂચમાં 1 ગુનો નોંધાયો હતો. વલસાડ જીલ્લા પોલીસને એસપી ડો.કરનરાજ વાઘેલાએ વિવિધ ગુનાના વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપતાં સિટી પોલીસના ચોપડે ઘરફોડ ચોરીના વોન્ટેડ આરોપીને ઝડપવા તપાસ હાથ ધરાઇ હતી. જેમાં વલસાડ એલસીબી પીઆઇ ઉત્સવ બારોટ અને સિટી પોલીસ મથકના પીઆઇ દિનેશ પરમારે ટીમને કામે લગાડતાં ટેક્નિકલ અ્ને હ્યુમન ઇન્ટેજિલન્સના આધારે એલસીબી પીઆઇ જે.બી.ધનેશા એલસીબી અને સિટી પોલીસની ટીમે વર્ક આઉટ કરતાં વલસાડ શહેરના ઘરફોડ ચોરીના ગુનામાં શીવા ઉર્ફ રાજૂ ચીનપ્પા ધોત્રે ઉ.47 સંડોવાયેલો હોવાનું માલૂમ પડ્યું હતું. આ આરોપી મહારાષ્ટ્રનો હોય વલસાડ પોલીસે મહારાષ્ટ્રના વિરાર ખાતે પહોંચી નેટવર્ક ઉભું કરી વધુ તપાસ કરી કો. કુલદીપસિંહ ઝાલા અને હરદિપસિંહ ગોહિલને મળેલી સંયુક્ત બાતમીના આધારે ધોત્રે ગેંગનો મુખ્ય સૂત્રધાર શિ‌વા ઉર્ફે રાજૂ ચીનપ્પા, હાલ રહે.વિરાર ઇસ્ટ, કુંભારપાડા, રાજેશભાઇનીચાલ રૂમ નં. 06, મહારાષ્ટ્ર તથા મૂળ રહે. જનતા હાઉસ, સાંઇનગર આંબેડકર ચોક સામે, જિ.ગુલબર્ગા, કર્ણાટકના મહારાષ્ટ્રના વસઇ ઇસ્ટ ખાતે તેના રહેણાંક સ્થાનેથી ઝડપી પાડ્યો હતો.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:51 am

સાયબર ઠગાઈ:ઝરોલીમાં પેTM એપ. રજિ. કરતા જ 89992 ઉપડી ગયા

ઝરોલીના ટ્રાન્સપોર્ટે નવા મોબાઇલમાં પેટી એમ વૉલેટ એપ્લિકેશન રજિસ્ટેશન કરતા જ ખાતા માંથી રૂ.89992 ઉપડી જતા ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઉમરગામના ભીલાડ જીવનજી પાડામાં આવેલી ડેલ્ટા બિલ્ડિંગમાં રાજેશ અંગુભાઈ આહીર(ઝરોલી,છીપા વાડ) રાજેશ ટેમ્પો સર્વિસ ટ્રાન્સપોર્ટની ઓફિસ માંથી વેપાર કરે છે. જે ટ્રાન્સપોર્ટની લેવડ દેવડ એચ.ડી.એફ.સી બેન્ક એકાઉન્ટ માંથી ઓન લાઇન પેમેન્ટ ફોન પે અને પેટી એમનો ઉપયોગ કરે છે.27 જૂને સાંજે 3.30 કલાકે જુના મોબાઈલ માંથી સિમ નવા મોબાઈલમાં નાખી ઓન લાઇન પેમેન્ટ માટે પેટીએમ એપ્લિકેશન ડાઉનલોડ કરી રજીસ્ટ્રેશન કરી લોંગ ઇન કરતા જ મોબાઈલમાં સાંજે 4.46 કલાકે રૂ.19,998 અને 4.49 કલાકે રૂ.10,000 કપાયાનો ટેક્ષ મેસેજ આવ્યો હતો. બેંકમાં તપાસ કરતા 4.30 કલાકે રૂ.29997 અને 4.31 કલાકે રૂ.29997નું ઓન લાઇન ટ્રાન્ઝેક્શન થયેલું પણ જોવા મળ્યું હતું. જે અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.ટ્રાન્સપોર્ટ સંચાલકની જાણ બહાર મોબાઈલ માંથી અલગ અલગ રૂ.89,992 નું ટ્રાન્ઝેકશન થતાં ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:50 am

દુર્ઘટનાની ભીતિ:સંજાણમાં નિર્માણ પામેલો રેલ્વે અંડરપાસ જીવલેણ સાબિતથશે

સંજાણ નિર્માણ પામી રહેલો રેલ્વે અંડરપાસ પાસે વરસાદી પાણી ભરાતા ખાડો જીવલેણ સાબિત થઈ શકે છે એમ છે. સંજાણ આમગામ રોડ ખાતે આવેલ રેલ્વે ફાટક 68 સ્થળે રેલ્વે ફ્લાય ઓવર બ્રિજનું નિર્માણ થતા ફાટક બંધ થતાં સ્થાનિક લોકોની અવરજવર માટે અંડર પાસ મંજૂર કરાયો હતો જેની કામગીરી DFCCIL અને ભારતીય રેલ વિભાગે સંયુક્ત રીતે શરૂ કરી હતી. આ કામગીરીના ભાગરૂપે બોક્સ કાસ્ટિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ત્યાર બાદ ચોમાસાના કારણે કામ બંધ છે. કામના સ્થળે હાલમાં વરસાદી પાણીનો ભરાવો થતા અંડરપાસ પાણીમાં ડૂબેલી સ્થિતિમાં જોવા મળી રહ્યો છે જેની આજુબાજુ કોઈપણ સલામતી માટેની દરકાર ન રખાતા આજુ બાજુના લોકો માટે ભયાનક સાબિત થઈ શકે તેમ છે . આ વિસ્તારથી નાના બાળકો વિદ્યાર્થીઓ પસાર થતા હોય એવા સંજોગોમાં મોટી દુર્ઘટનાનું કારણ બની શકે તેમ છે. કારણ આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ પણ નથી.અંડર પાસ નિર્માણ કાર્ય વહેલી તકે પૂર્ણ કરવા સાંસદ ધવલ પટેલે રેલ વિભાગને રજૂઆત કરી હતી. રેલવે વિભાગ તરફથી ચોમાસા બાદ સત્વરે કામ પૂર્ણ કરવાની લેખિત ખાત્રી આપી છે.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:49 am

સિટી એન્કર:મેટ્રો-3ના BKC -એરપોર્ટ ટી2 સ્ટેશનમાં દુકાન સહિત અન્ય સુવિધા

કોલાબા-બાન્દરા-સીપ્ઝ-આરે અંડરગ્રાઉન્ડ મેટ્રો 3 રૂટ પરના બે મેટ્રો સ્ટેશનમાં ટૂંક સમયમાં વિવિધ પ્રકારની દુકાન, રેસ્ટોરંટ, ખાદ્યપદાર્થોના સ્ટોલ, એટીએમ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ થશે. બીકેસી અને એરપોર્ટ ટી2 મેટ્રો સ્ટેશન પરની જગ્યાનો વ્યવસાયિક ઉપયોગ કરવાના મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશનના નિર્ણય અનુસાર આ સ્ટેશનમાં વિવિધ પ્રકારની દુકાન શરૂ કરવામાં આવશે. એના માટે એમએમઆરસી અને ઈંડિયા રિટેલ એન્ડ હોસ્પિટાલિટી પ્રા.લિ. કંપની વચ્ચે તાજેતરમાં એમઓયુ કરવામાં આવ્યો છે. હવે આગળની કાર્યવાહી શરૂ કરીને આગામી બે મહિનામાં આ બંને સ્ટેશનમાં દુકાન શરૂ કરવામાં આવશે. આ દુકાનો શરૂ થશે તો પ્રવાસીઓ મેટ્રો પ્રવાસ સાથે ખરીદી કરી શકશે. સ્ટેશનમાં જ તેમના ખાણીપીણીની સગવડ થઈ જશે. એમએમઆરસીએ 33.5 કિલોમીટર લાંબો અંડરગ્રાઉન્ડ મેટ્રો-3 રૂટ બાંધ્યો છે. આ રૂટનો આરેથી બીકેસી તબક્કો ઓક્ટોબર 2024માં અને બીકેસીથી આચાર્ય અત્રે ચોક માર્ગ તબક્કો મે 2025માં પ્રવાસીઓ માટે શરૂ થયો હતો. આ રૂટને હજી જોઈએ એવો પ્રતિસાદ મળ્યો નથી. જો કે ધીમે ધીમે પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે એમ એમએમઆરસી જણાવે છે. પ્રવાસીઓની સંખ્યા વધે અને તેઓ ખરીદી કરી શકે, તેમના ખાવાપીવાની સગવડ થાય એ માટે 27 અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનની લગભગ 1.3 લાખ સ્કવેર ફૂટ જગ્યાનો ઉપયોગ વ્યવસાયિક જગ્યા તરીકે કરવાનો નિર્ણય આ પહેલાં જ એમએમઆરસીએએ લીધો છે. એ અનુસાર આ જગ્યાઓ વિવિધ કંપનીઓને ભાડે આપવામાં આવી છે. પ્રવાસીઓની સગવડ સાથે જ ટિકિટ અને અન્ય માધ્યમો દ્વારા મહેસૂલ મેળવવાના ઉદ્દેશથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. એમએમઆરસીને એનાથી ઘણું મહેસૂલ મળ્યું છે. આ જગ્યા ભાડે આપ્યા બાદ હવે એનો વ્યવસાયિક ઉપયોગ શરૂ કરવાની દષ્ટિએ એમએમઆરસી પગલાં ભરે છે. એ અનુસાર બીકેસી અને એરપોર્ટ ટી2 મેટ્રો સ્ટેશનમાં દુકાન શરૂ કરવા માટે તાજેતરમાં આઈઆરએચપીએલ સાથે કરાર કરવામાં આવ્યાની માહિતી એમએમઆરસીના વરિષ્ઠ અધિકારીએ આપી હતી. 32 હજાર સ્કવેર ફૂટ જગ્યાબીકેસી અને એરપોર્ટ ટી2 મેટ્રો સ્ટેશનમાં 35 ઠેકાણે 32 હજાર સ્કવેર ફૂટ જગ્યાનો વ્યવસાયિક ઉપયોગ કરવામાં આવશે. આગામી બે મહિનામાં આ દુકાન શરૂ કરવાનું નિયોજન છે એમ અધિકારીએ જણાવ્યું. તેમ જ એના લીધે પ્રવાસીઓની સંખ્યા વધારવામાં મદદ થશે એવો વિશ્વાસ એમએમઆરસીને છે. દરમિયાન આ સ્ટેશન સહિત અન્ય 15 મેટ્રો સ્ટેશનમાં પણ દુકાન શરૂ કરવાની દષ્ટિએ કાર્યવાહી કરવામાં આવશે. એના માટે ટૂંક સમયમાં જ કરાર કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:48 am

મેઘ મહેર:મુંબઈ શહેરમાં જૂનના ચારપાંચ દિવસમાં જ આખા મહિનાનો વરસાદ, સરેરાશ ઓળંગી

આ વર્ષે મુંબઈમાં મોસમી વરસાદનું સમય પહેલાં જ આગમન થવા છતાં મૂશળધાર વરસાદ પડતો ન હોવાની ચિંતા વ્યક્ત થઈ હતી. જો કે છેલ્લા થોડા દિવસમાં રાજ્ય સહિત શહેરમાં પણ વરસાદે જોરદાર હાજરી પુરાવી છે. તેથી શહેરમાં વરસાદનો આંકડો વધ્યો છે. મુંબઈમાં વરસાદે જૂન મહિનાની સરેરાશ ઓળંગી છે. શહેર ભાગમાં સરેરાશની સરખામણીએ 49.7 મિલીમીટર વધુ વરસાદ પડ્યો છે. જૂન મહિનામાં ચારપાંચ દિવસના આંકડાઓ જોતા આ દિવસોમાં પડેલા વરસાદે જૂનની સરેરાશ ઓળંગી છે. આગામી થોડા દિવસ મુંબઈમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. મુંબઈમાં આ વર્ષે ઉનાળો અતિતીવ્ર હતો. મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયશ પર પહોંચ્યું હતું. આ વર્ષે મુંબઈમાં મોસમી વરસાદ પંદર દિવસ પહેલાં જ દાખલ થયો હતો. એ પછી જૂન મહિનાના પહેલા દિવસથી જ મુંબઈમાં વરસાદે પોરો ખાધો હતો. વચ્ચે વચ્ચે હળવો વરસાદ પડ્યો. જો કે જૂનની પંદર તારીખ પછી ફરીથી વરસાદે જોર પકડ્યું. ડેમના ક્ષેત્રમાં પણ આ સમયમાં વરસાદ પડ્યો. 7 જૂનના 4 ઈંચ, 16 જૂનના 3 ઈંચ, 20 જૂનના 4 ઈંચ, 24 જૂનના 3 ઈંચ જેટલા વરસાદની નોંધ થઈ હતી. જૂન મહિનામાં શહેરમાં વરસાદ એકધારો પડ્યો નથી છતાં થોડા થોડા સમયે પડતા મૂશળધાર વરસાદે મહિનાની સરેરાશનો આંકડો પાર કર્યો છે. હવામાન વિભાગના કોલાબા કેન્દ્રમાં 1 થી 30 જૂન સુધી 24 ઈંચ વરસાદની નોંધ થઈ. આ સમયગાળામાં ત્યાં 22 ઈંચ વરસાદ અપેક્ષિત હોય છે. સરેરાશની સરખામણીએ 2 ઈંચ વધુ વરસાદ પડ્યો છે. એ સાથે જ સાંતાક્રુઝ કેન્દ્રમાં 21 ઈંચ વરસાદની નોંધ થઈ છે. ત્યાં સરેરાશની સરખામણીએ એક ઈંચ વરસાદ ઓછો પડ્યો છે. સાંતાક્રુઝ કેન્દ્રમાં 1 થી 30 જૂનના સમયમાં 21 ઈંચ વરસાદ પડવો અપેક્ષિત હોય છે. મોસમી પવન દાખલ થયા પછી વરસાદમાં જોર નહોતું. જો કે 15 જૂનથી થોડા દિવસ વચ્ચે વચ્ચે મૂશળધાર વરસાદ પડ્યો. એ પછી થોડા દિવસ ઘણો વરસાદ પડ્યો. તેથી સરેરાશનો આંકડો ઝડપથી બદલાયો. 1 થી 20 જૂન સુધી મુંબઈમાં વરસાદ સરેરાશથી ઓછો પડ્યો હતો. જો કે એ પછી થયેલા વરસાદે મહિનાની સરેરાશની ખોટ પૂરી કરી હતી.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:46 am

પૂરક માગણીઓ વિધાનમંડળમાં રજૂ:મહાપાલિકાની ચૂંટણી નજરમાં રાખી 57 હજાર કરોડથી વધુની પૂરક માગણીઓ

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ નજર સામે રાખી મહાયુતી સરકારે પૂરક માગણીઓના માધ્યમથી મત માટે મહાપાલિકા, જિલ્લા પરિષદ માટે મોટા પ્રમાણમાં ભંડોળ ઉપલબ્ધ કરી આપ્યું. તેમ જ રસ્તા, મેટ્રો, સિંચાઈ પ્રકલ્પ અને આરોગ્ય વિભાગ માટે 57 હજાર 509 કરોડ રૂપિયાની પૂરક માગણીઓ વિધાનમંડળમાં રજૂ કરી. સરકારે માર્ચમાં 45 હજાર 890 કરોડ રૂપિયાની ખોટવાળું બજેટ રજૂ કર્યું હતું. એમાં હવે 57 હજાર 509 કરોડ રૂપિયાની પૂરક માગણીઓનો ઉમેરો થવાથી નાણાંકીય ખોટ એક લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી છે. નાણાંમંત્રી અજિત પવારે ત્રણ મહિના પહેલાં વિધાનમંડળના બજેટ સત્રમાં રાજ્યનું 45 હજાર 890 કરોડ રૂપિયાની ખોટવાળું બજેટ રજૂ કર્યું હતું. જો કે મુખ્યમંત્રી લાડકી બહેન અને પાયાભૂત સુવિધાઓની યોજના પરના ખર્ચમાં વધારાથી ત્રણ મહિનામાં જ સરકારની આર્થિક સ્થિતિ પર ભાર વધ્યો છે. પવારે વિધાનમંડળમાં રસ્તા, મેટ્રો, અધુરા સિંચાઈ પ્રકલ્પ ઝડપી કરવા, પાયાભૂત પ્રકલ્પોની નિર્મિતી અને કુંભમેળા માટે મોટા પ્રમાણમાં ભંડોળ ઉપલબ્ધ કરી આપવા 57 હજાર 509 કરોડ રૂપિયાની પૂરક માગણીઓ રજૂ કરી હતી. કોને કેટલા રૂપિયા?રાષ્ટ્રીય સહકાર વિકાસ નિગમ પાસેથી રાજ્ય સરકાર મારફત સહકારી સાકર કારખાનાના શેર માટે માર્જિન મની લોન માટે 2 હજાર 182 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. થાણે-બોરીવલી અને ઓરેન્જ ગેટથી મરીનડ્રાઈવ પરિસર અંડરગ્રાઉન્ડ રોડ માટે એમએમઆરડીએને 500 કરોડ રૂપિયા આપવામાં આવશે. મુંબઈ રેલવે વિકાસ મહામંડળ 1 હજાર 50 કરોડ, મુંબઈના મેટ્રો પ્રકલ્પ માટે લીધેલી આઉટસાઈડ લોન અને એના પર વ્યાજ ચુકવવા 1500 કરોડ, મેટ્રોની લોન માટે 1740 કરોડ રૂપિયાની જોગવાઈ પ્રસ્તાવિત કરવામાં આવી છે. રાજ્યના રસ્તા અને પુલ બાંધકામ માટે 6 હજાર 500 કરોડ રૂપિયા પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે. એમાં રેવસ-રેડ્ડી રોડ, પુણે રિંગ રોડ, જાલના-નાંદેડ એક્સપ્રેસ વે માટે ભંડોળના અંશદાન પેટે 1500 કરોડ, નાશિક કુંભમેળાના નિયોજન માટે 1 હજાર કરોડ, અધુરા સિંચાઈ પ્રકલ્પ પૂરા કરવા 1400 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:46 am

કાર્યવાહી:કોચિંગ ક્લાસમાં શિક્ષક દ્વારા સગીરાના જાતીય શોષણની એસઆઈટી તપાસ

બીડમાં એક કોચિંગ ક્લાસમાં એક સગીરા સાથે થયેલા જાતીય શોષણની એસઆઈટી તપાસની જાહેરાત મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે કરી હતી. એક વરિષ્ઠ મહિલા આઈપીએસ અધિકારીના નેતૃત્વ હેઠળની સમિતિ સમયબદ્ધ રીતે તેની તપાસ કરશે અને કેસનો ઉકેલ લાવશે. આ કેસમાં કોઈ પક્ષ લીધા વિના પીડિતાને ન્યાય આપવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. ભાજપના સભ્ય ચેતન ટુપેએ ગૃહમાં બીડમાં જાતીય શોષણનો મુદ્દો ઉઠાવ્યો હતો. બીડમાં એક કોચિંગ ક્લાસમાં એક સગીરા સાથે જાતીય શોષણ થયું છે. હાલમાં, આ કેસમાં બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે પોક્સો કેસ પણ નોંધવામાં આવ્યો છે. પરંતુ આ મામલે સંપૂર્ણ તપાસની જરૂર છે. સરકાર આ મામલે એસઆઈટી તપાસ કરાવે એવી માગણીને પગલે ફડણવીસે એસઆઈટી તપાસની જાહેરાત કરી હતી.આ પ્રકરણમાં બીડ સહિત સમગ્ર રાજ્યમાં ગુસ્સો છે. આ કેસનો વ્યાપ વધુ હોઈ શકે છે. પીડિતા હંમત રાખીને ફરિયાદ કરવા આગળ આવી, પરંતુ શંકા છે કે આ ઘટના ઘણી છોકરીઓ સાથે બની હોઈ શકે. તેથી તપાસ એસઆઈટી દ્વારા કરવામાં આવશે, એમ ફડણવીસે જણાવ્યું હતું.બીજી તરફ, આ કેસમાં પીડિતાએ બાળ કલ્યાણ સમિતિ સમક્ષ પોતાની અગ્નિપરીક્ષા વર્ણવી છે. તેણે કહ્યું કે, શિક્ષક ખાટોકરે મને કેબિનમાં બોલાવી અને અણછાજતી રીતે સ્પર્શ કર્યો. પીડિતાને મહિલા સહાયકસોમવારે પીડિતાને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ હાજર કરવામાં આવી. આ વખતે, તેણે સમિતિ સમક્ષ આખી ઘટના જણાવી. ખાટોકરે તેને સૌથી વધુ હેરાન કરી. વર્ગમાં પણ, મારા પ્રત્યેનું તેનું વર્તન અન્ય વિદ્યાર્થીઓ સામે સારું નહોતું. સમિતિએ તેને એક મહિલા સહાયક આપી છે. મહિલા સહાયક તેને કાઉન્સેલિંગ કરીને, કારકિર્દીની દ્રષ્ટિએ મદદ કરીને, તેનો આત્મવિશ્વાસ વધારશે અને કાનૂની સહાય પૂરી પાડશે. આ નિર્ણય પીડિતોને મદદ કરશે.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:44 am

નિર્ણય:મ્હાડા ગોરેગાવમાં આવેલી પતરાચાલ ખાતેના અડધા કાર્યાલય ભાડે આપશે

મ્હાડાએ ભાડેથી આપવાના ઘર પછી હવે ભાડે આપવાના કાર્યાલયો બાંધવાનો નિર્ણય લીધો છે. મ્હાડાના મુંબઈ મંડળ તરફથી ગોરેગાવ પશ્ચિમ પરિસરના સિદ્ધાર્થનગર (પતરાચાલ) ખાતે 26 માળાનું કમર્શિયલ કોમ્પ્લેક્સ બાંધવામાં આવશે. આ કોમ્પ્લેક્સમાં 50 ટકા જગ્યા ભાડેથી આપવાના કાર્યાલયો માટે અનામત રહેશે. નાના વ્યવસાયિક, યુવાન વ્યવસાયિકોને પ્રોત્સાહન આપવાની દષ્ટિએ આ કોમ્પ્લેક્સમાં પરવડનારા દરમાં ભાડાના કાર્યાલય ઉપલબ્ધ કરી આપવામાં આવશે. આ કાર્યાલયોમાં જરૂરી તમામ સુવિધા અને સામગ્રી ઉપલબ્ધ રહેશે.પતરાચાલમાં બાંધકામ માટે ઉપલબ્દ થયેલા સાત ભૂખંડમાંથી આર-5 ભૂખંડ પર વ્યવસાયિક બાંધકામ કરવાનો નિર્ણય મ્હાડા ઉપાધ્યક્ષના આદેશ અનુસાર મુંબઈ મંડળે લીધો છે. એ અનુસાર આ વ્યવસાયિક ઈમારતની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે જેના અનુસાર 26 માળાની આ ઈમારતમાં 6 માળા પાર્કિંગ માટે હશે અને સાતમા માળાને ઈ-ડેક તરીકે વાપરવામાં આવશે. કાર્યાલયો શા માટે?કેટલાકને છ મહિના માટે અથવા એક વર્ષ માટે અથવા ત્રણથી ચાર વર્ષ માટે કાર્યાલયની જરૂર હોય છે. આવા સમયે કાર્યાલય મળવા મુશ્કેલ હોય છે. આ બાબત ધ્યાનમાં લેતા મ્હાડાએ પરવડનારા દરમાં ઘરની નિર્મિતી પછી હવે પરવડનારા દરમાં કાર્યાલયોની નિર્મિતી કરીને આ કાર્યાલયો ભાડે આપવા માટે ઉપલબ્ધ કર્યાનો નિર્ણય લીધાની માહિતી અધિકારીએ આપી હતી. કાર્યાલય માટે જરૂર તમામ સુવિધા, મનુષ્યબળ સહિત ભાડેથી આપવાના કાર્યાલય ઉપલબ્ધ કરવાની સંકલ્પના હવે મુંબઈમાં રજૂ થઈ છે. એ જ પગલે મ્હાડા પણ પરવડનારા દરમાં કાર્યાલય બાંધશે. નવા ઉદ્યોજકોને એમાંથી પ્રોત્સાહન મળશે.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:44 am

સનદી અધિકારીઓની બેઠક:મોટી મૂર્તિઓના વિસર્જન બાબતે 23 જુલાઈ સુધી નિર્ણય લેવાનો આદેશ

પ્લાસ્ટર ઓફ પેરિસની મોટી ગણપતિ મૂર્તિઓના વિસર્જનની મડાગાંઠ ઉકેલવા હજી સરકારને સફળતા મળી નથી. સાર્વજનિક ગણેશોત્સવ મંડળની મોટી મૂર્તિઓ બાબતે ધોરણાત્મક નિર્ણય લેવા રાજ્ય સરકારે કોર્ટ પાસે વધુ ત્રણ અઠવાડિયાનો સમય માગ્યો હતો. મુખ્ય જજ આલોક આરાધેની ખંડપીઠે સરકારને 23 જુલાઈ સુધીની મુદત આપતા ધોરણાત્મક નિર્ણય રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. પીઓપીની મૂર્તિના કારણે પ્રદૂષણ થતું હોવાનો દાવો કરતા થાણેના પર્યાવરણવાદી કાર્યકર્તા રોહિત જોશીએ આ પ્રકરણે મુંબઈ હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજી પર મુખ્ય જજ આલોક આરાધે અને જજ સંદીપ મારણેની ખંડપીઠ સમક્ષ સુનાવણી થઈ હતી. એ સમયે રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ બિરેન્દ્ર સરાફે દલીલ કરી હતી. પીઓપીની મોટી મૂર્તિઓ બાબતે લાંબા ગાળાની ઉપાયયોજના કરવામાં આવશે અને ધોરણ નિશ્ચિત કરવામાં આવશે. એના માટે સનદી અધિકારીઓની બેઠક લેવામાં આવી રહી છે. ધોરણ નિશ્ચિત કરવા વધુ સમય જરૂરી હોવાથી ખંડપીઠે ત્રણ અઠવાડિયાની મુદત આપવી એમ સરાફે કોર્ટને માહિતી આપતા જણાવ્યું હતું. એના પર કોઈ વાંધો નથી એમ મૂર્તિકારોના સંગઠન તરફથી વરિષ્ઠ વકીલ ઉદય વારુંજીકરે પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું. કોર્ટે એની નોંધ લેતા સરકારને મુદત વધારી આપી અને 23 જુલાઈના આગામી સુનાવણી રાખી હતી. પીઓપીની મોટી મૂર્તિઓના વિસર્જન બાબતે ઉકેલ કાઢવા સમય આપવાની વિનંતી રાજ્ય સરકારે ગયા વખતની સુનાવણીમાં કરી હતી. સરકાર લાંબા ગાળાના ઉપાય શોધતી હોવાની માહિતી કોર્ટને આપવામાં આવી હતી. એના પર સમુદ્રમાં મોટી મૂર્તિઓના વિસર્જન ન કરવા બાબતે સરકાર કોઈ નિયમ ઘડશે કે એ બાબતે કોર્ટે સરકારને પૂછ્યું હતું. આ વિવિધ મુદ્દાઓ બાબતે ધોરણ નક્કી કરવા સરકારે સમય માગ્યો હતો. એની નોંધ લેતા ખંડપીઠે સરકારને ત્રણ અઠવાડિયાની મુદત વધારી આપી હતી. જો કે હજી પણ ધોરણ નિશ્ચિત થયું નથી.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:43 am

સિટી એન્કર:મુંબઈના રાણીબાગમાં બોગદામાં મત્સ્યાલય, પેંગ્વિન કક્ષનું વિસ્તરણ

મુંબઈના વીરમાતા જીજાબાઈ ભોસલે વનસ્પતિ ઉદ્યાન એટલે કે રાણીબાગમાં હવે બોગદાવાળું મત્સ્યાલય તૈયાર કરવામાં આવશે. એના માટે મહાપાલિકા તરફથી કોન્ટ્રેક્ટરની પસંદગી કરવામાં આવી છે. તેથી પશુપક્ષીઓ સાથે જ વિવિધ પ્રકારના જળચરો પણ પર્યટકો જોઈ શકશે. ઉપરાંત રાણીબાગમાં પેંગ્વિનની વધતી સંખ્યા જોતા પેંગ્વિન કક્ષનું વિસ્તરણ કરવાનો નિર્ણય મહાપાલિકાએ લીધો છે. આ કામ મત્સ્યાલય તૈયાર કરનારા કોન્ટ્રેક્ટરને જ સોંપવામાં આવ્યું છે. મત્સ્યાલય અને પેંગ્વિન કક્ષનો ખર્ચ 81 કરોડ 58 લાખ રૂપિયા છે. આ બધા કામ એકથી દોઢ વર્ષમાં પૂરા કરવામાં આવશે. 2017માં રાણીબાગમાં પેંગ્વિન લાવવામાં આવ્યા અને પછી પર્યટકોની સંખ્યા વધતી રહી. રાણીબાગમાં અત્યારની જ જગ્યામાં વિસ્તરણ કરીને વિદેશી પ્રાણીસંગ્રહાલય સુવિધા આપવાનો પ્રસ્તાવ છે. કેન્દ્રિય પ્રાણીસંગ્રહાલય પ્રાધિકરણના અત્યારના નિયમ અનુસાર પ્રાણીસંગ્રહાલયમાં વિદેશી પ્રાણીઓ ઉમેરવા સ્થાનિક પ્રજાતીના પ્રાણીઓની સંખ્યા વધારવી જરૂરી છે. તેથી અત્યારની જગ્યાની મર્યાદા ધ્યાનમાં લેતા મત્સ્યાલય તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. રાણીબાગના ઈંટરપ્રિટેશન સેંટર ઈમારતના ભોંયતળિયે પેંગ્વિન કક્ષ સામે જ બોગદાવાળું મત્સ્યાલય તૈયાર કરવામાં આવશે. આ કામ માટે ટેંડર જારી કર્યા પછી કોન્ટ્રેક્ટરની નિયુક્તી કરવામાં આવી છે. ટૂંક સમયમાં કોન્ટ્રેક્ટરને વર્કઓર્ડર આપવામાં આવશે એવી માહિતી રાણીબાગના સંચાલક ડો. સંજય ત્રિપાઠીએ આપી હતી. મત્સ્યાલયના પ્રવેશદ્વાર પાસે ઘુમ્મટ આકારની છત હશે. મત્સ્યાલયમાં 14 મીટર લાંબી કોરલ ફિશ એક્વેરિયમ અને 36 મીટર ઊંડુ મહાસાગર બોગદું મત્સ્યાલય હશે જે પર્યટકો માટે આકર્ષણ બનશે. સ્ટેનલેસ સ્ટીલનો એલિવેટેડ રસ્તો ચાલવા માટે હશે. પ્રસ્તાવિત મત્સ્યાલયમાં ચાર અંડાકાર ટાંકી, પાંચ વર્તુળાકાર ટાંકી અને બે અર્ધગોળાકાર ટાંકી પ્રસ્તાવિત છે જેમાં વિવિધ પ્રકારની માછલીઓ રાખવામાં આવશે. મત્સ્યાલયમાંથી બહાર નીકળતા સોવેયનિયર દુકાન કરવામાં આવશે. એમાં વન્યજીવ, વનસ્પતિશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર વગેરે સંબંધિત પુસ્તકો, રમકડા, કપડા વગેરે હશે. એના લીધે મહાપાલિકાને મહેસૂલ મળશે. પેંગ્વિન કક્ષનું વિસ્તરણરાણીબાગમાં પેંગ્વિન ખાસ આકર્ષણ બની રહ્યા છે. 2017માં રાણીબાગમાં 8 પેંગ્વિન લાવવામાં આવ્યા. 2024ના અંત સુધી 18 પેંગ્વિન હતા. હવે આ સંખ્યા 21 પર પહોંચી છે. પેંગ્વિનની સંખ્યા હજી વધશે તો સંકડાશ થાય એ પહેલાં જ મુંબઈ મહાપાલિકાએ અત્યારથી જ પેંગ્વિન કક્ષના વિસ્તરણની તૈયારી શરૂ કરી છે. અત્યારના પેંગ્વિન કક્ષની પાછલી બાજુએ આવેલી અતિરિક્ત જગ્યા પર એનું વિસ્તરણ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:42 am

રિલેશનશિપમાં વિવાદમાંથી હત્યા:મુલુંડની ટીનેજરનું મોત 32 માળ પરથી પડવાથી નહીં પણ તેને ધકેલવાથી થયું

ભાંડુપ પશ્ચિમમાં એલબીએસ રોડ પર મહિંદ્રા સ્પ્લેન્ડર સોસાયટીના 32મા માળ પરથી નીચે પડેલી 17 વર્ષની ટીનેજરની વાસ્તવમાં તેના ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડ દ્વારા રિલેશનશિપ મામલે ઝઘડો થયા પછી ધક્કો મારવાથી નીચે પડીને મૃત્યુ પામી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ અંગે આરોપી ટીનેજરની સોમવારે ધરપકડ કરી છે. કિશોરી મુલુંડ પૂર્વની સોસાયટીમાં રહેતી હતી. 24 જૂને સાંજે 32મા માળે અગાશીમાં પાણીની ટાંકી પરથી નીચે પડીને તેનું મોત થયું હતું. આરંભમાં તેના ફ્રેન્ડે કિશોરીને ઓછા માર્કસ આવ્યા, શાળામાં બધા મજાક ઉડાવતા હતા, તે મારી સાથે સંબંધ બનાવવા માગતી હતી, જેને કારણે ઘરે બોલાવી હતી, પરંતુ 32મા માળ પર બંને ગયા પછી પોતે 30મા માળ પર નીચે આવ્યો ત્યારે કિશોરીએ છલાંગ લગાવી હોવાનું પોલીસને જણાવ્યું હતું. આરંભમાં પોલીસે અનૈસર્ગિક મૃત્યુની નોંધ કરી હતી. જોકે પોલીસ ટીમને આરંભિક તપાસમાં અમુક બાબત શંકાસ્પદ જણાઈ હતી. આથી વારંવાર કિશોરીના ફ્રેન્ડની તેના પિતાની સામે પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ તે ગુનો કબૂલ કરતો નહોતો, વળી, કિશોરી સોસાટી ડી વિંગની નીચે પડી હતી, જ્યારે તેનો મોબાઈલ ઈ વિંગની નીચેથી મળી આવ્યો હતો, જેથી પોલીસની શંકા દ્રઢ બની હતી. ઉપરાંત 30મા માળ પર એક મહિલાએ સાંભળેલો બે જણનો ઝઘડવાનો અવાજ, આરોપી તે પછી જિમમાં ગયો, જ્યાં એન્ટ્રીમાં તેણે છેકછાક કરી હતી. ઉપરાંત સર્વ વિંગના સીસીટીવી તપાસતાં આરોપીની સર્વ બાબતો શંકાસ્પદ જણાઈ હતી. આથી તેની સતત પૂછપરછ ચાલતી હતી. સોમવારે તેને ફરીથી પૂછપરછ માટે બોલાવ્યો ત્યારે તેણે ગુનો કબૂલ કરી લીધો હતો. તેણે કહ્યું કે કિશોરીએ 20 જૂને ઈન્સ્ટાગ્રામ પર પ્રપોઝ કર્યું હતું, પરંતુ તેને સંબંધ બનાવવાનો ઈનકાર કર્યો હતો. આ પછી 24મીએ તે આરોપી પાસે આવી. બંને 32મા માળ પર અગાશીમાં પાણીની ટાંકી પર ગયાં, જ્યાં ફરી સંબંધ નકારતાં કિશોરીએ તેને ધક્કો માર્યો હતો. આથી ગુસ્સામાં તેણે સામે ધક્કો મારતાં કિશોરી નીચે પડી ગઈ હતી. આ પછી તેનો ફોન ઈ વિંગ તરફ ફેંકી દીધો હતો.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:39 am

સુવિધા:વેસાવે ભાયંદર કોસ્ટલ રોડ મંજુર, નરીમાનથી ભાયંદર 20 મિનિટમાં

મુંબઈ માટે મહત્ત્વાકાંક્ષી કોસ્ટલ રોડના વેસાવેથી ભાયંદર સુધી વિસ્તાર માટે મેન્ગ્રોવ્ઝનું સ્થળાંતર કરવા માટે પર્યાવરણ, વન મંત્રાલય અને ક્લાઈમેટ ચેન્જ મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી છે, જેને કારણે મહાપાલિકા દ્વારા યુદ્ધને ધોરણે આ પ્રકલ્પ ઝડપથી સાકાર કરવા માટે પ્રયાસ શરૂ થયા છે. મહાપાલિકા હવે આ મંજૂરી અંગે હાઈ કોર્ટમાં અરજી કરશે, જે પછી કામ શરૂ કરાશે. પ્રોજેક્ટના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે મંગળવારે આ માટે એક વિશેષ બેઠક યોજીને કયાસ પણ મેળવ્યો હતો. હાલમાં બાંદરાથી વેસાવે કામ ચાલી રહ્યું છે, જે એમએસઆરડીસી દ્વારા કરાઈ રહ્યું છે, જ્યારે વેસાવેથી ભાયંદર કામ મુંબઈ મહાપાલિકા કરશે, જે પૂર્ણ થતાં નરીમાન પોઈન્ટથી ભાયંદર પ્રવાસ સડસડાટ થઈ જશે. આને કારણે મુંબઈની ટ્રાફિક ગીચતા પણ મહદંશે ઓછી થશે. કોસ્ટલ રોડ કુલ 60 કિમી છે. ભાયંદર સુધી પૂર્ણ થતાં હાલ 90થી 120 મિનિટ લાગે છે, જે અંતર ફક્ત 15થી 20 મિનિટમાં પાર કરી શકાશે. સમય અને ઈંધણની બચત થશે. કાર્બન ઉત્સર્જન આશરે 55 ટકા ઓછું થશે. આ પ્રકલ્પમાં એલીવેટેડ માર્ગ, પુલ અને બે બોગદાં આવશે. ઓઘસ્ટ 2025માં કામ શરૂ કરીને નવેમ્બર 2028 સુધી પૂર્ણ કરાશે, એમ બાંગરે જણાવ્યું હતું.દરમિયાન વન મંત્રાલયની શરત પ્રમાણે આ માર્ગમાં આશરે 8.24 હેક્ટર પર મેન્ગ્રોવ પ્રબાવિત થવાન છે, જ્યારે 9000 મેન્ગ્રોવનાં ઝાડ બાધિત થશે. તેના સ્થળાંતર માટે પણ નિયોજનબદ્ધ યોજના ઘડી કાઢવામાં આવી છે અને તેની પર કામ શરૂ થઈ ચૂક્યું છે.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:38 am

આદેશ:ખેડૂતોને મામલે ઉગ્ર બની અધ્યક્ષ પાસે ધસી ગયેલા પટોલે સસ્પેન્ડ

રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે કોંગ્રેસના નેતા નાના પટોલેએ ભાજપના વિધાનસભ્ય બબનરાવે લોણીકરના જાલના જિલ્લામાં ખેડૂતો બાબતે કરેલા નિવેદનનો મુદ્દો ગૃહમાં ઉઠાવ્યો. તેમણે માગણી કરી કે લોણીકર, કૃષિ મંત્રી અને મુખ્ય મંત્રી આ મામલે માફી માગે. આ માટે તેઓ સીધા વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરની બેઠક તરફ ધસી ગયા હતા અને રાજદંડને પણ સ્પર્શ કર્યો હતો. આથી અધ્યક્ષે તેમને એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા. પટોલેએ દેવેન્દ્ર ફડણવીસ પર ખેડૂત વિરોધી હોવાનો આરોપ લગાવતાં કહ્યું છે કે ખેડૂતોના મુદ્દાઓ પર તેમને દરરોજ સસ્પેન્ડ કરવામાં આવે તો પણ તેઓ ગૃહમાં અવાજ ઉઠાવશે. કોંગ્રેસના નેતા નાના પટોલેને સ્પીકર રાહુલ નાર્વેકર દ્વારા એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તે પછી, વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યું. લોણીકરે ખેડૂતોનું અપમાન કર્યું હતું અને મુખ્ય મંત્રીએ તે મામલે માફી માગવાની માંગ કરી હતી. તે પછી, પત્રકારો સાથે વાત કરત પટોલેએ કહ્યું કે આજે ખેડૂતોનો દિવસ છે. ભાજપ મહાયુતિ સરકાર સત્તામાં આવી છે.રાજ્યમાં ખેડૂતોની આત્મહત્યાઓ અને શાસન નીતિઓ અંગે વિપક્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ લક્ષ્ય બનાવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:38 am

ખેડૂતોના મુદ્દા પર વિપક્ષ આક્રમક:મુખ્યમંત્રી પાસે માફીની માગણી કરી, આ માગણી સાથે વિપક્ષે કામકાજનો બહિષ્કાર કર્યો

રાજ્ય વિધાનમંડળના ચોમાસુ સત્રના બીજા દિવસે મંગળવારે ખેડૂતોના મુદ્દા પર વિપક્ષ આક્રમક બન્યો. કૃષિ મંત્રી ખેડૂતો વિરુદ્ધ નિવેદનો આપે છે, ભાજપના ભૂતપૂર્વ મંત્રી અને વિધાનસભ્ય બબનરાવ લોણીકર દ્વારા પણ ખેડૂતો વિરુદ્ધ વાંધાજનક નિવેદનો આપવા સામે વિપક્ષે સખત વાંધો ઉઠાવ્યો હતો. શાસક પક્ષ વારંવાર ખેડૂતોનું અપમાન કરે છે, તે જોતાં મહાવિકાસ આઘાડીના વિધાનસભ્યોએ મુખ્ય મંત્રી પાસેથી માફી માગવાની માગણી કરી હતી. કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવાર અને નાના પટોલે ખેડૂતોના મુદ્દા પર સ્પીકરની બેઠક પાસે ધસી ગયા હતા. આ ધાંધલધમાલને કારણે વિધાનસભાની કાર્યવાહી પાંચ મિનિટ માટે સ્થગિત કરવામાં આવી હતી. કાર્યવાહી ફરી શરૂ થતાં વિપક્ષે માફી માગવાની માંગણી કરતા સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા. તે સમયે સ્પીકરે નાના પટોલેને એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા. મહાવિકાસ આઘાડીના નેતાઓને ગૃહમાં બોલવાની મંજૂરી નથી, પરંતુ ખેડૂતોના મુદ્દા પર બોલવા પર કાર્યવાહી કરવામાં આવે છે, એમ કહીને મહાવિકાસ આઘાડીના વિધાનસભ્યોએ વિધાનસભાની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો. વિપક્ષે આખો દિવસ કાર્યવાહીનો બહિષ્કાર કર્યો અને ગૃહમાંથી વોકઆઉટ કર્યું.રાજ્યમાં શક્તિપીઠ હાઇવે સામે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. બાર જિલ્લાના ખેડૂતો આ હાઇવેનો વિરોધ કરી રહ્યા છે, બીજી તરફ રાજ્યના કૃષિ મંત્રી ખેડૂતો વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે, શાસક વિધાનસભ્ય બબનરાવ લોણીકર ખુલ્લેઆમ બોલી રહ્યા છે કે ખેડૂતો અમારા પૈસા પર જીવે છે. શું સરકાર લોણીકરને ફક્ત એટલા માટે ટેકો આપી રહી છે કારણ કે તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી? એમ વડેટ્ટીવારે પ્રશ્ન ઉઠાવ્યો હતો.ખેડૂતોના મુદ્દા પર વિપક્ષને ગૃહમાં બોલવાની મંજૂરી અપાતી નથી, તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે. કોંગ્રેસ વિધાનસભાના નેતા વિજય વડેટ્ટીવારે આક્રમક વલણ અપનાવ્યું કે ખેડૂતોના મુદ્દા પર અમે વિરોધ કરી શકીએ છીએ, ભલે અમને જેલમાં નાખવામાં આવે, પરંતુ અમે ખેડૂતો માટે લડતા રહીશું.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:37 am

તપાસ:ટીપુ સુલતાનને નામે ચોક ઊભું કરનાર વિરુદ્ધ FIR રદ નહીં થાય

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)ના નેતા અને ભૂતપૂર્વ વિધાનસભ્ય ફારુખ શા સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરવાનો મુંબઈ હાઈ કોર્ટે ઇનકાર કર્યો હતો. તેમની પર જાહેર ભંડોળનો ગેરકાયદેસર ઉપયોગ કરીને ધુળેમાં ટીપુ સુલતાનના નામે જાહેર ચોક બનાવવાનો આરોપ છે. કોર્ટે અવલોકન કર્યું કે બાંધકામ કોણે કર્યું અને તેના માટે પરવાનગી લેવામાં આવી હતી કે કેમ તે શોધવા માટે તપાસ ચાલુ છે અને ઉમેર્યું કે કાયદામાં નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કર્યા વિના ભૂતપૂર્વ વિધાનસભ્ય દ્વારા જાહેર ચોકનું નામકરણ કરી નહીં શકાય. કોર્ટે એ પણ નોંધ્યું કે એક તરફ શા મોટા મેદાનનું નામકરણ કરવાના કૃત્યનો બચાવ કરી રહ્યા હતા અને બીજી તરફ તેઓ નિર્દોષતાનો દાવો પણ કરી રહ્યા હતા, જે એકસાથે ચાલી શકે નહીં. અરજદારે કોઈ પણ પરવાનગી લીધા વિના એક ઊંચું મંચ બનાવ્યું અને તેનું નામ ટીપુ સુલતાન ચોક રાખ્યું હતું અને અરજદાર તરફથી આ કૃત્યથી બે સમુદાયો વચ્ચે નફરત ફેલાઈ હતી, એમ ન્યાયાધીશ વિભા કંકણવાડી અને ન્યાયાધીશ સંજય એ દેશમુખની ડિવિઝન બેન્ચે તેના આદેશમાં નોંધ્યું. રાજકીય પક્ષ સાથે જોડાયેલી વ્યક્તિઓ સહિતનાએ સ્થાનિક મહાપાલિકાના નિયમો હેઠળ બાંધકામ પરવાનગી મેળવવી જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:36 am

આયોજન:મુંબઈ મહાપાલિકાનો કેટલાક પર્યટન સ્થળોને વધુ વિકસિત કરવા પર ભાર

મુંબઈ અને મુંબઈથી બહાર રહેતા નાગરિકો એક દિવસ તો મુંબઈ ફરવા આવે ત્યારે મુંબઈની ચોપાટીઓ, સ્થાપત્યો, અન્ય ફરવાલાયર સ્થળોની મુલાકાત લેતા હોય છે. એ ધ્યાનમાં લેતા મુંબઈના કેટલાક સ્થળોને પર્યટન સ્થળ તરીકે વિકસિત કરવા અને જે હાલ છે એવા પર્યટન સ્થળોને વધુ વિકસિત કરવા પર મુંબઈ મહાપાલિકાએ ભાર મૂક્યો છે. તેથી કાલા ઘોડા, રિગલ જંકશન પરિસર સહિત મુંબઈ કોલીવાડાના વિકાસ પર ભાર મૂકવામાં આવશે. મુંબઈમાં દેશવિદેશના પર્યટકો રસપૂર્વક ફરે છે. જો કે કુદરતી પર્યટન સ્થળો સાથે જ કેટલાક કૃત્રિમ પર્યટન સ્થળો પણ વિકસિત કરીને તેના માધ્યમથી પર્યટન વધારવા પર મહાપાલિકાએ હવે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેથી કલા મહોત્સવ માટે પ્રખ્યાત કાલા ઘોડા અને રિગલ જંકશન પરિસરનો વિકાસ કરવામાં આવશે. કાલા ઘોડા પરિસરનો કલા અને ઐતિહાસિક દષ્ટિકોણથી વિકાસ કરવામાં આવશે. રિંગલ જંકશન પરિસરમાં રાહદારીઓ અને વાહનોના ઝડપી તથા સહેલા પ્રવાસની વ્યવસ્થા કરવામાં આવશે. એ સાથે જ ત્યાં વપરાતી ન હોય એના 4 હજાર 50 સ્કવેર મીટર જગ્યા પર પોઝ પોઈંટ તરીકે પ્લાઝામાં રૂપાંતર કરવામાં આવશે. તેથી બંને પરિસરનું વૈશ્વિક વારસા તરીકે મહત્વ હજી વધશે. એના માટે મહાપાલિકા બજેટમાં 20 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. વરલી, માહિમ, વર્સોવા સહિત તમામ કોલીવાડાઓનો વિકાસ કરવામાં આવશે જેના માટે 25 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. લંડન શહેરના પર્યટન માટે ઓળખાતા લંડન આઈ ચકડોળ પ્રમાણે મુંબઈમાં પણ મુંબઈ આઈ ઊભું કરવામાં આવશે. લંડન આઈમાં બેસીને આખા લંડન શહેરનો નજારો પર્યટકો જોઈ શકે છે. એ જ પ્રમાણે મુંબઈ આઈ ઊભું કરીને પર્યટન માટે વધુ એક આકર્ષક કેન્દ્ર તૈયાર કરવામાં આવશે. મુંબઈ આઈ સરકારી અને ખાનગી ભાગીદારના સહિયારા પ્રકલ્પ તરીકે ઊભું કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:36 am

અકસ્માત:રસ્તા ઉપર પાર્ક ટ્રકમાં બાઇક ઘુસી જતાં અકસ્માત, હેલ્મેટથી ચાલકનો બચ્યો જીવ

દમણમાં ટ્રાફિકની સમસ્યાને ઓછી કરવા મુખ્ય માર્ગ પહોળા કરવામાં આવી રહ્યા છે. આ પહોળા રસ્તાઓનો ઉપયોગ લોકો પોતાની કાર પાર્ક કરવા માટે કરવા લાગ્યા છે. જેના લીધે ટ્રાફિક સમસ્યા તો વધીજ રહી છે પણ અકસ્માતો પણ વધી રહ્યા છે. ખાસ કરી દમણ ભેસલોરથી તિનબત્તીનો મુખ્ય માર્ગમાં આસપાસમાં બનેલી બિલ્ડીંગના રહેવાસિયો રોડને પોતાની પાર્કિંગ બનાવી બેઠા છે. મશાલ ચોકથી ભેંસલોર જતા માર્ગ પર તો રસ્તાના બંને બાજુ પાર્કિંગ કરી દેવામાં આવે છે. જેના લીધે રાત્રીના અંધારાના લીધે ઘણા અકસ્માતો થઇ રહ્યા છે. આ માર્ગ પર ટૉરેંટ પાવર, ભારત ગેસ અને વિષ્ણુ સાગર નામક દારૂનો હોલસેલેર પોતાના ટ્રંક અહીં પાર્ક કરે છે. જેનાથી રોડ બંને બાજુથી સાંકળો થઇ જય છે અને અકસ્માતનું કારણ બને છે. મંગળવારે ટૉરેંટ પાવર દ્વારા પાર્ક કરવામાં આવેલા આરજે09 જીસી 2509 નંબરના ટ્રકમાં UP73 Z 1968 નંબરની બાઈક પાછળથી ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. સદ્ નસીબે બાઇક ચાલકે હેલ્મેટ પહેર્યુ હતું એટલે જીવ બચી ગયો પણ હાથમાં ઇજા થઇ હતી. પાર્ક કરેલા ટ્રકના કારણે આ રસ્તા પાર અવારનવાર અકસ્માતો થાય છે. લોકોની માંગ છે કે રોડ પર પાર્કિંગ કરનાર પર કડક પગલાં પોલીસ દ્વારા લેવામાં આવે.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:36 am

અપહરણનો પ્રયાસ:સેલવાસના રિંગરોડ પર યુવકને મારમારી અપહરણનો પ્રયાસ

છત્રલાલ ઉર્ફે સુરેશ રહેવાસી સામરવરણી જેઓ દુધનો ધંધો કરે છે. સોમવારે રાત્રે રિંગરોડ પરથી એના ભાઈની દુકાન તરફ જઈ રહ્યા હતા.તે સમયે કેટલાક અજાણ્યા લોકો આરજે પાર્સિગની સ્વીફ્ટ કારમાં આવ્યા હતા અને સુરેશને જબરજસ્તી ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કરી રહ્યા હતાં તે સમયે જેમ તેમ કરી તે બચીને ભાગી રહ્યો હતો ત્યારે અજાણ્યા ઈસમોએ એને મારમાર્યો હતો. જેમાં આ લોકોના હાથમાં હથિયારો હતા અને અંધકારનો લાભ લઇ હુમલો કરવાની કોશિશ કરી રહ્યા હતા. આ ઘટના અંગે કોઈને જણાવે તે પહેલા કારમાં આવેલા લોકો કાર લઈને ફરાર થઇ ગયા હતા.આ ઝપાઝપીમાં એના ગળામાંની સોનાની માળા પણ પડી ગઈ હતી. સુરેશે કારની ઓળખ કરી હતી એ કાર ઉદેલાલ ડાંગીની હોવાની શંકા છે.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:35 am

પાલિકાની તિજોરીમાં 11 કરોડ જમા:વલસાડ પાલિકામાં મિલકતધારકોએ 11 કરોડનો માતબર એડવાન્સ ટેક્સ ભર્યો

સ્વભંડોળના મુખ્ય સ્ત્રોત નાણાંકીય વર્ષના એડવાન્સ ટેક્સ માટે વલસાડ પાલિકાના કરદાતાઓએ ખુબ પ્રમાણિકતાથી પ્રતિસાદ આપી 11 કરોડનો માતબર ટેક્સ પાલિકાની તિજોરીમાં જમા કર્યો છે. પાલિકાએ પ્રારંભે જૂનમાં 10 ટકા રિબેટ યોજના દાખલ કરી ટેક્સ ભરવા આવનારા કરદાતાઓને બોલપેનની ગિફ્ટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. જો કે તેમ છતાં 40 ટકા વસુલાત હજી કરદાતાઓ ભરી શક્યા નથી. વલસાડ પાલિકા દ્વારા 2025 -26ના વર્ષ માટે એડવાન્સ ટેક્સની વસુલાત માટે એપ્રિલથી તૈયારી શરૂ કરી દીધી હતી. વલસાડમાં 45 હજાર કરદાતાઓ પાસે ટેક્સ વસુલાત માટે આ વર્ષે જૂનના 30 દિવસ માટે મિલકત વેરા પર 10 ટકા રિબેટની સ્કીમ જાહેર કરાઇ હતી. આ સ્કીમનો લાભ આપવા હાઉસ ટેક્સ વિભાગના સુપ્રિન્ટન્ડન્ટ રમણ રાઠોડ અને પાલિકા સીઓ કોમલ ધાનૈયા, પ્રમુખ માલતીબેન ટંડેલ સાથે પરામર્શ કરાયા બાદ જૂન માસ માટે કરદાતાઓને 10 ટકા વળતર આપવાનું નક્કી કરાયું હતું.જેને 1 જૂન 2025થી અમલમાં મુકાયું હતું. આ સ્કીમ માટે પાલિકા હાઉસ ટેક્સ દ્વારા કરદાતાઓને સ્પે.બોલપેનની ગિફ્ટ રિબેટ સ્કીમની જાહેરાત સાથે આપી હતી.આ સ્કીમ પહેલા એપ્રિલ મેમાં 1.37 કરોડ અને સ્કીમ બાદ કરદાતાઓએ યથાયોગ્ય પ્રતિસાદ આપતાં જૂનના એક જ માસમાં 9..62 કરોડનો એડવાન્સ ટેક્સ ભરી પાલિકાની તિજોરી છલકાવી છે. મહત્તમ વસુલાતનો ફાયદો શુંરાજ્ય સરકાર દ્વારા જે નગરપાલિકાઓ દ્વારા વેરાનું માતબર સ્વભંડોળની આવકમાં જમા થાય છે તે પાલિકાને શહેરમાં પ્રાથમિક સુવિધાઓના કામો માટે વધુ ગ્રાન્ટની ફાળ‌વણી કરવામાં આવે છે.નાણાંકિય વર્ષના એડવાન્સ વેરાની મહત્તમ વસુલાત કરવામાં સફળ થાય છે તેવી નગરપાલિકાઓને સરકાર પાસેથી મહત્તમ ગ્રાન્ટ મેળવવાની અમૂલ્ય તક મળે છે. હવે 3 મહિના મુદ્દલ વસુલાતવલસાડ પાલિકાએ 2025-26ના વર્ષ માટે 10 ટકા વળતર યોજના જૂન માસ માટે અમલમાં મૂકી હતી.જેને કરદાતાઓએ સારો પ્રતિસાદ આપ્યો છે. હવે આ સ્કીમ પૂરી થાય છે. જૂલાઇ,ઓગષ્ટ,સપ્ટે મ્બર દરમિયાન વેરાના માંગણા બિલ પ્રોપર્ટી ટેક્સની મુદ્દલ રકમ ભરી શકાશે. આ 3 માસ દરમિયાન વેરો ભરનારા માટે સ્કીમ વળતર નથી કે કોઇ દંડનીય કાર્યવાહી નથી.માંગણા મુજબના વેરા બિલનું ભરણું કરી શકાશે.: રમણ રાઠોડ,ટેક્સ સુપ્રિન્ટન્ડન્ટ,વલસાડ ઓક્ટોબરથી દર મહિને 0.5 ટકા વ્યાજ ઉમેરાતો જશેજે કરદાતાઓ એડવાન્સ ટેક્સ ભરવામાં જેટલો વિલંબ કરશે તે મુજબ આગામી ઓગષ્ટ માસથી પાલિકા અધિનિયમ મુજબ વ્યાજની રકમનો ઉમેરો થતો રહેશે.મતલબ કે 1 ઓક્ટોબરથી ‌વેરો ભરવા આવાનારાઓ પાસે 0.5 ટકા એટલે કે અડધો ટકા વ્યાજ વસુલાશે, ઓક્ટોબર બાદ નવેમ્બરમાં વેરો ભરનારાને 1 ટકા વ્યાજ થશે.એટલે કે જેમ જેમ ટેક્સ ભરવામાં વિલંબ કરવામાં આવશે તેમ દર મહિને અડધો ટકા વ્યાજનો ઉમેરો થતો રહેશે.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:34 am

કરૂણાંતિકા:સરગાસણ-તારાપુરના 4 યુવકના મોત થતાં બંને ગામમાં માતમ છવાયો

ગાંધીનગરના સરગાસણ અને તારાપુર ગામમાં રહેતા પાંચ મિત્રો ગત શનિવારે કેદારનાથના દર્શન કરવા જવા રવાના થયા હતા. જ્યારે સોમવારે સાંજના આશરે 5 વાગ્યાના અરસામાં મુઝફ્ફરનગર પાસે કાર બેકાબુ થતા અકસ્માત થયો હતો, જેમાં ચાર મિત્રોના બનાવ સ્થળે જ મોત થઇ ગયા હતા. જ્યારે એક મિત્રને શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી. આ બનાવ બાદ બંને ગામમાં માતમ છવાઇ ગયો છે. હાલમાં મૃતક યુવકોને વતન લાવવાની પ્રકિયા હાથ ધરવામાં આવી છે. પાટનગરમાં સમાવાયેલા સરગાસણ ગામના બે યુવક આશરે 28 વર્ષિય કરણજી કેશાજી ઠાકોર અને ભરતજી બબાજી ઠાકોર ડીજેનો વ્યવસાય કરતા હતા. કરણજીને મોટા પાયે ડીજેનો ધંધો છે. ત્યારે તેમની સાથે ભરતજી પણ કામ કરતો હતો. તે ઉપરાંત તારાપુર ગામમાં રહેતા આશરે 28 વર્ષિય અમિત મનુજી ઠાકોર, 25 વર્ષિય વિપુલ કાળાજી ઠાકોર અને જીજ્ઞેશ ઠાકોર ગત શનિવારના રોજ ઇનોવા કાર લઇને કેદારનાથના દર્શન કરવા રવાના થયા હતા. જ્યારે કાર ગત રોજ સોમવારે યુપીના મુઝફ્ફરનગર પાસે પહોંચતા ચાલકે કાબુ ગુમાવતા 20 ફૂટ ઊંચા ફ્લાયઓવર પરથી નીચે પડી ગઈ. અકસ્માતમાં જિજ્ઞેશ ઠાકોર સિવાયના ચાર મિત્રોના બનાવ સ્થળે જ મોત થઇ ગયા હતા. જ્યારે જિજ્ઞેશને શરીરે ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મૃતકના સગાઓ હાલમાં યુપીમાં પહોંચી ગયા છે.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:34 am

કામગીરી:દર મહિને 10 ટકા પંચાયત અને મહેસૂલી વેરા વસૂલાતની તલાટીઓને સૂચના અપાશે

દર વર્ષે નાણાંકિય વર્ષના અંતે વેરાની નબળી વસૂલાતની સ્થિતિને ખાળવા માટે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા દર મહિને પંચાયત અને મહેસુલી વેરાની 10-10 ટકા વસૂલાત કરવાનું આયોજન કરાયું છે. તેમાં જિલ્લાના તમામ તલાટીઓની બેઠક બોલાવીને દર મહિને 10 ટકા વેરાની વસુલાતનું આયોજન કરવામાં આવશે. જોકે આયોજન કર્યા બાદ ચાલુ માસથી અમલવારી કરવામાં આવે તે માટે તલાટીઓની સાથે બેઠક યોજાશે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના વિકાસની પાછળ વેરાની વસુલાત મહત્વનો ભાગ ભજવતો હોય છે. ગ્રામ્ય વિસ્તારમાંથી પંચાયત અને મહેસૂલી વેરાની વસુલાતના આધારે રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી વિકાસના કામો માટે ગ્રાન્ટ આપવામાં આવે છે. જેમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતને મળવા પાત્ર ગ્રાન્ટમાં સ્ટેમ્પ ડ્યુટી, રેતી-કાંકરી, નાણાંપંચ સહિતની અનેક પ્રકારની ગ્રાન્ટ આપવામાં આવે છે. આ ગ્રાન્ટ ગ્રામ પંચાયતોને વસ્તીના ધોરણના આધારે આપવામાં આવે છે. ત્યારે ગ્રામ પંચાયતોને નિયમિત અને પુરાતી ગ્રાન્ટ મળી રહે તે માટે વેરાની વસુલાત ઉપર વિશેષ ભાર મુકવામાં આવે છે. ત્યારે દર વર્ષે નાણાકીય વર્ષના અંતે નબળી વેરા વસુલાતની સ્થિતિ ઉભી થતી હોય છે. ત્યારે નબળી વેરા વસૂલાતની સ્થિતિને નાબુદ કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી બી.જે.પટેલ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:33 am

ગ્રાહકોની મૂંઝવણ વધી:PGVCL ગ્રાહક સુરક્ષા ફોરમની રચનાના 3 મહિના થવા છતાં બોર્ડ બદલાયું નહીં

વીજન લગતા ગ્રાહકોના પ્રશ્નો ઉકેલ માટે પીજીવીસીએલ દ્વારા ગ્રાહક સુરક્ષા ફોરમની રચના કરવામાં આવે છે. ગત એપ્રિલ-2025માં નવા ગ્રાહક સુરક્ષા ફોરમની રચના કરી દેવામાં આવી છે. તેમ છતાં સેક્ટર-30માં આવેલી પીજીવીસીએલની ઓફિસમાં ગ્રાહક સુરક્ષા ફોરમના સભ્યોના નામ દર્શાવતું બોર્ડ બદલવામાં આવ્યું નથી. આથી ગ્રાહકો વીજ સમસ્યા માટે ફોરમના જૂના સભ્યોનો સંપર્ક કરતા હાલમાં અમે નથી તેવો જવાબ મળતા ગ્રાહકોની મુંઝવણ વધી છે. ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા ગ્રાહકોના વીજ સપ્લાય થી લઇને તેને લગતા કોઇપણ પ્રશ્નોના ઉકેલ માટે ગ્રાહક સુરક્ષા ફોરમની રચના કરવામાં આવે છે. જોકે ગ્રાહક સુરક્ષા ફોરમની રચના દર પાંચ વર્ષે નવેસરથી કરવામાં આવે છે. ત્યારે ગત એપ્રિલ-2025માં પીજીવીસીએલ દ્વારા નવા ગ્રાહક સુરક્ષા ફોરમની રચના કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા ગ્રાહક સુરક્ષા ફોરમના નવા સભ્યોની વરણી કરી દેવામાં આવી છે. તેની યાદી પણ સબંધિત કચેરીને મોકલી આપવામાં આવી છે. વધુમાં ગ્રાહક સુરક્ષા ફોરમના નવા સભ્યોની જાણકારી ગ્રાહકોને થઇ શકે તે માટે નવા બોર્ડ બનાવવાની પણ સુચનાઓ આપી હોવા છતાં તેની અમલદારી કરવામાં આવતી નથી. ત્યારે પીજીવીસીએલ કંપની દ્વારા ગ્રાહક સુરક્ષા ફોરમના સભ્યોના નામના બોર્ડ બનાવવામાં કે નવા નામ લખવા માટે સારા મુહૂર્ત હાલમાં નહતી હોય તેમ છેલ્લા ત્રણ માસથી ગ્રાહક સુરક્ષા ફોરમના નવા વરાયેલા સભ્યોના નામનો બોન્ડમાં ઉલ્લેખ નહતી કરવાની કામગીરી ઉપરથી લાગી રહ્યું છે. જોકે પીજીવીસીએલની ઓફિસની બહાર જ ગ્રાહક સુરક્ષા ફોરમના સભ્યોના સાચા નામની જાણકારી ગ્રાહકોને મળતી નથી. ત્યારે પોતાના પ્રશ્નો અંગે બોન્ડમાં દર્શાવેલા નામની વ્યક્તિઓનો સંપર્ક કરતા તેઓ હાલમાં સભ્ય નહતી હોવાનો જવાબ મળી રહ્યો હોવાથી ગ્રાહકોને હાલાકી જેઠવાની ફરજ પડી રહી છે. ત્યારે ગ્રાહકોના હિ તને ધ્યાનમાં રાખીને પીજીવીસીએલ કંપની દ્વારા ગ્રાહક સુરક્ષા ફોરમના નવા સભ્યોના નામનો ઉલ્લેખ બોન્ડમાં કરવામાં આવે તેવી આશા ગ્રાહકો રાખી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:33 am

ફરિયાદ:ઉવારસદ પાસે જમીન દલાલ પર 3 લોકોનો છરીથી હુમલો

જર, જમીન અને જોરૂ ત્રણેય કજિયાના છોરુ કહેવત હાલના સમયમાં સાચી પડી રહી છે. જમીનોના ભાવ આસમાને પહોંચતા ઝઘડાઓ વધી રહ્યા છે. ત્યારે જમીન દલાલ અમદાવાદથી વસઇ જઇ રહ્યા હતા. તે સમયે ઉવારસદ પાસે લઘુશંકા કરવા ઊભા રહેતા તેમની ઉપર એક કારમાં આવેલા 3 લોકોએ છરીથી હુમલો કર્યો હતો. પોતાના શેઠને બચાવવા પડતા ડ્રાઇવર ઉપર પણ હુમલો કરવામાં આવતા અડાલજ પોલીસ મથકમાં અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધાવવામાં આવ્યો હતો. વસઇ ખાતે રહેતા રોશનકુમાર ઉર્ફે લાલુભાઇ હસમુખલાલ જાની જમીન લે-વેચનો ધંધો કરે છે. બે દિવસ પહેલા અમદાવાથી તેમની ઇનોવા કાર નંબર જીજે 06 પીડી 3420 લઇને વતન વસઇ જવા નિકળ્યા હતા. ત્યારે ઉવારસદ-વાવોલ રોડ ઉપર કારને લઘુશંકા કરવા રોકાવી હતી. તે સમયે એકા એક અન્ય એક કાર આવી હતી અને તેમાંથી 3 લોકો ઉતર્યા હતા. આશરે 30થી 40 વર્ષની ઉંમરના લોકો કારમાંથી ઉતરીને સીધા જ દલાલને પીઠ ઉપર છરી મારી દીધી હતી. જેમાં દલાલને શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી. જેથી કારમાં બેઠેલો ડ્રાઇવર હર્ષ સુરેશભાઇ સુથાર (રહે, ડાભલા) તેના શેઠને બચાવવા માટે વચ્ચે પડતા હુમલાખોરો દ્વારા તેની ઉપર પણ છરીથી હુમલો કરી દીધો હતો. ત્યારબાદ તમામ લોકો પુરપાટ ઝડપે રોંગ સાઇડમાં કારને રિવર્સમાં હંકારી ભાગી ગયા હતા. આ બનાવ પહેલા હેબતપુર ગામના રોનક મહેશભાઇ મકવાણા દલાલ પાસે આવ્યા હતા અને ડાભલામાં આવેલી વડીલોપાર્જિત જમીન તેમના કહેવા મુજબ કનુભાઇ દેસાઇને વેચાણ આપી હતી. જે જમીનમાં દલાલને નાણાં લેવાના નિકળતા હતા. જેથી તે સમયે ઉશ્કેરાઇ ગયા હતા અને દલાલ સાથે ઉગ્ર બોલાચાલી કરી ત્યાથી જતા રહ્યા હતા. જેથી આ બાબતની અદાવતમાં હુમલો કરાવવામાં આવ્યો હોય તેવી શંકા સેવવામાં આવી છે. પરિણામે દલાલે અડાલજ પોલીસ મથકમાં અજાણ્યા હુમલાખોર સામે ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:32 am

અકસ્માત:બીલપુડીમાં રિક્ષા અડફેટે બાઇક સવાર વૃદ્ધનું મોત

ધરમપુર| ધરમપુરના શીશુમાળ, કેળપાડા ફળિયાના રહીશ 76 વર્ષીય ચંદરબેન પતિ 66 વર્ષીય નાનજી જોગાર્યા સાથે સોમવારે સવારે બાઇક પર વીજ બિલ ભરી તેમજ બેંકનુ કામ પતાવી બપોરે ઘરે જવા નીકળ્યા હતા ત્યારે બીલપુડી, મંદિર ફળિયા રોડ પર સામેથી રિક્ષા ચાલકે રોંગ સાઇડે હંકારી લાવી વૃધ્ધ દંપતિની બાઇકને ટક્કર મારતા બન્ને રોડ પર ફેંકાઇ ગયા હતા. જેમાં ચંદનબેનને શરીરે માર વાગ્યો હોવાથી તુરંત ઉભી થઇ ગઈ હતી. જ્યારે તેણીનાં પતિ નાનજીભાઈને માથામાં ઈજા થતાં 108માં બેભાન હાલતમાં સ્ટેટ હોસ્પિટલ લવાયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે તપાસી તેમને મૃત જાહેર કર્યા હતાં.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:32 am

ખેલીઓ ઝડપાયા:ગુંદલાવમાં જુગાર રમાડતાં 2 ઝડપાયા

ગુંદલાવ વિસ્તારમાં રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે લીમડાચોક પાસે ખુલ્લી જગ્યાએ વરલી મટકા રમાડવામાં આવતા હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના પગલે મળેલી બાતમીના આધારે રૂરલ પોલીસ સ્ટેશનની ટીમે ગુંદલાવ લીમડાચોક ખાતે પહોંચી જઇ પાછળની ખુલ્લી જગ્યામાં 2 ઇસમો ઉભા જણાયા હતા.જેમનું કોર્ડન કરી લઇ ઝડતી કરવામાં આવતાં બોલપેન અને વરલી મટકાનું સાહિત્ય મળી આવ્યા હતા. પેન્ટના ખિસ્સા ચેક કરતા વરલી મટકાના જૂગારની રોકડ રકમ 2500 મળતા પોલીસે કબજે કરી આરોપી સતીશ નાયકા રહે.ગુંદલાવ અને વિજય માહ્યાવંશી રહે.ઘડોઈની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:31 am

મેઘરાજાની તોફાની બેટિંગ:દાનહમાં 3 ઇંચથી વધુ વરસાદ

દાદરા નગર હવેલીમાં 3 ઇંચથી વધુ વરસાદ પડયો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. સેલવાસમાં 85.4 એમએમ 3.55 ઇંચ અને ખાનવેલમાં 26.6 એમએમ 1.05 ઇંચ વરસાદ પડયો છે. સિઝનનો કુલ વરસાદ સેલવાસમાં 1099.1 એમએમ 43.27 ઇંચ અને ખાનવેલમાં 1106.8 એમએમ 43.57 ઇંચ થયો છે. મધુબન ડેમનું લેવલ 69.85 મીટર છે ડેમમાં પાણીની આવક 22277ક્યુસેક છે અને પાણીની જાવક 10062 ક્યુસેક છે. અથાલ બ્રિજ નજીકનું લેવલ 26.2 મીટર છે.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:31 am

વિરોધના વંટોળ ઉઠ્યા:મત્સ્ય ઉદ્યોગ માટે સરપંચોને વિશ્વાસમાં લીધા વિના તળાવો ફાળવી દેવાતા વિરોધ, હવે ફેર વિચારણા થશે

નવસારી જિલ્લામાં જાન્યુઆરી માસમાં ગ્રામ પંચાયતના ઠરાવ વિના વિભાગ દ્વારા 135થી વધુ ગામોના તળાવો પાંચ વર્ષ માટે ઇજારો આપવા ફિશરીઝ વિભાગ દ્વારા દૈનિકોમાં જાહેરાત આપવામાં આવી હતી. જેમાં કછોલી ગામના લોકોએ વિરોધ કર્યા બાદ જિલ્લામાં આવેલ અન્ય ગામોના લોકોએ પણ વિરોધ કર્યો હતો . અંતે જિલ્લા પંચાયત દ્વારા લોકોનો વિરોધ બાદ તળાવ આપવાનો ઠરાવ રદ કર્યાની જાહેરાત સામાન્ય સભામાં કરવામાં આવી હતી. નવસારી જિલ્લામાં આવેલ 135થી વધુ ગામોના તળાવની હરાજી ફિશરીઝ દ્વારા કરવામાં આવી હતી પણ આ બાબતે ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોની મંજૂરી લેવામાં આવી ન હતી. જેને લઇ જાહેરાત પ્રસિદ્ધ થયા બાદ ગ્રામજનોનો વિરોધ શરૂ થયો હતો. જેને લઇ એક ગામ બાદ અન્ય ગામોના લોકોએ પણ તળાવ જળસંચય અને ખેતીની જમીન માટે ઉપયોગી બનવાનું હોવા સહિત અનેક રીતે ગામને મદદરૂપ થયા હોવાની રજૂઆત કરતા 75 જેટલા તળાવોની જાહેરાત આપવામાં આવી હતી. જેમાં 52 ગામના સરપંચ દ્વારા પીવાના પાણી અને ઓછી રકમ હરાજીની હોય તેઓના વિરોધ થયા બાદ 47 તળાવોની હરાજી રદ કરવાનો આદેશ કર્યો હતો. જેમને પંચાયત દ્વારા નાણાં પરત આપી દેવાની જાહેરાત પણ કરવામાં આવી હતી ત્યારબાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી જેમની બીડની રકમ વધુ હોય તેઓને તળાવનો કબજો સોંપવામાં આવશે.ઠરાવ રદ ન થાય તો 20 ગામના સરપંચોએ ચેક પરત કરવાની ચીમકી પણ આપી હતી જલાલપોર તાલુકાના 20થી વધુ ગામોના સરપંચ દ્વારા તેમની પંચાયતને મળેલા ચેક સાથે જલાલપોર ભાજપ તાલુકા પ્રમુખની આગેવાનીમાં કલેકટર કચેરીમાં વિરોધ કરવા આવ્યા અને જો તળાવની હરાજી રદ ન થાય તો તેઓ એ ચેક પરત કરવાની ચીમકી પણ આપી હતી. જલાલપોર સહિત અન્ય ગામોના સરપંચો એ પણ લેખિતમાં જિલ્લા પંચાયતમાં પોતાનો વિરોધ જાહેર કર્યો હતો. જેને લઇ જિલ્લા પંચાયત પ્રમુખે તળાવ હરાજીનો નિર્ણય રદ કરવાની જાહેરાત કરી હતી. માછલીનું ઉત્પાદન વધારવા કેમિકલના પ્રયોગથી કછોલીમાં સૌપ્રથમ વિરોધ‎કછોલી ગામમાં ત્રણ તળાવો આવ્યા છે. જેમાં પાણીની તંગી થાય ત્યારે આ તળાવના પાણીનો ઉપયોગ કરે છે. થોડા સમય પહેલા ગામના સરપંચ-તલાટી અને ગામ અગ્રણીઓને વિશ્વાસમાં લીધા વિના તેમજ નોટિસ આપ્યા વિના સરકાર દ્વારા કુદરતી જળસંચયના તળાવોના ઓનલાઇન ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. આ તળાવો ગામ બહારના લોકોને ભાડે આપવામાં આવ્યા છે. આ બાબતે ગામના લોકોએ વિરોધ કર્યો હતો. પાણીની તંગી વખતે તળાવોના પાણીનો ઉપયોગ કરતા હોય છે. તળાવોમાં માછલીનો પુરવઠો વધારવા કેમિકલ નાંખશે, આ પાણી ગામના અબોલ પશુ સાથે ભૂગર્ભ જળમાં પ્રવેશી ગ્રામજનોના આરોગ્યને હાનિ થશે. જેથી કછોલી ગામના ત્રણ તળાવોની હરાજી રદ કરવા જણાવ્યું હતું. વાંધો હોય તો હજી પણ અરજી આપી શકે હજુ પણ કોઈ ગામના સરપંચનો વિરોધ કરવાનો હોય તો તેઓ રદ કરવા માટે અરજી આપે ત્યારબાદ જે તે ગામોના તળાવ માટે ટેન્ડર પ્રક્રિયા કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. > પરેશભાઈ દેસાઈ, પ્રમુખ, જિલ્લા પંચાયત, નવસારી

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:30 am

તસ્કરો ત્રાટક્યા:દીકરીના લગ્ન માટે ખરીદેલા 13 લાખના દાગીના તસ્કરો ચોરી ગયા: રાયસણની ઘટના

ન્યૂ ગાંધીનગરના રાયસણમાં આવેલી સાગરવિલા સોસાયટીના બંગલામાં તસ્કરે ખેપ મારી હતી. દીકરીના લગ્ન માટે ખરીદવામાં આવેલા દાગીના અને 5 લાખની રોકડ સહિત 13.15 લાખનો મુદ્દામાલ ચોરી તસ્કર પલાયન થઇ ગયો હતો. જેથી બંગલાના માલિકે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ઘરફોડની ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ જીતેન્દ્રકુમાર પરષોત્તમદાસ પટેલ (રહે, બંગલા નંબર 9, સાગરવિલા સોસાયટી, રાયસણ) કેમિકલનો ધંધો કરે છે. ત્યારે ગત રોજ રાતના સમયે ઘરમાં ઉપરના માળે આવેલા બેડરૂમમાં લગાવેલા એસીમાં ખરાબી થઇ હોવાથી પરિવાર નીચેના માળે સુઇ ગયો હતો. નિત્યક્રમ મુજબ પરિવારના સભ્યો સવારે જાગી ગયા હતા. તે સમયે દીકરો નાહવા માટે જતા ઉપરના બેડરૂમમાં સામાન વેર વિખેર પડેલો જોવા મળ્યો હતો. જેથી બીજા બેડરૂમમાં પણ તપાસ કરવામાં આવી હતી. તેમા પણ સામાન વેરવિખેર જોવા મળતા બેડરૂમમાં રહેલા કબાટની તપાસ કરવામાં આવતા અંદર મુકવામાં આવેલા 5 લાખ રૂપિયા રોકડા ગાયબ હતા. તેની સાથે આગામી ફેબ્રુઆરી મહિનામાં દીકરીના લગ્ન હોવાથી ઘરમાં લાવવામાં આવેલા દાગીનામાં દોઢ તોલાની બે સોનાની ચેઇન, સોનાની બે વીંટી, એક સોનાની બુટ્ટી, ચાંદીના બે બિસ્કીટ, ચાંદીની ત્રણ પાયલ, ચાંદીના જુડા, 90 નંગ ચાંદીના સિક્કા, ગણેશજી, લક્ષ્મીજીની ચાંદીની મૂર્તિ, ચાંદીની દીવી અને રોકડા મળી કુલ 13.15 લાખની ચોરી થઇ હતી. સોસાયટીમાં લગાવેલા સીસીટીવી ચેક કરવામાં આવતા એક તસ્કર સોસાયટીમાં ફરતો જોવા મળ્યો હતો.જ્યારે બંગલાની અંદર બારીના બે સળિયાવાળીને અંદર પ્રવેશ કરી ચોરી કરવામાં આવી હતી. આ બનાવ બાદ ઇન્ફોસિટી પોલીસ મથકમાં ઘરફોડની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:28 am

છેતરપિંડી:વાઘરેચની યુવતીના જીપેમાંથી LICના પૈસા જમા કરવાના બહાને છેતરપિંડી

બીલીમોરા નજીકના વાઘરેચ ગામની યુવતી ના ગુગલ પે એપ્લિકેશન ઉપર એલઆઈસીના રૂપિયા જમા કરાવું છું એવો ખોટો મેસેજ કરનાર અજાણ્યાએ મોકલેલ એમેઝોન પે ની રિક્વેસ્ટ યુવતી એ સ્વીકારતા જ તેના બેંક ખાતામાંથી 41 હજાર ઓનલાઇન ટ્રાન્સફર થઈ જતા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. બીલીમોરા વાઘરેચ રહેતી અને જીઆઇડીસી ફાર્મા કંપનીમાં કામ કરતી મોહિનીબેન અશોકભાઇ મિસ્ત્રીને અજાણ્યા નંબર ઉપરથી કોલ આવ્યો હતો. જેમાં તે રાજકોટ એલઆઇસીમાંથી બોલું છું એવું કહી તમારા પિતાજી સાથે વાત થઈ ગઈ છે અને તેમના એલઆઇસીના રૂપિયા તમારા ખાતામાં જમાં કરાવું છું એવુ જણાવ્યું હતું. જેનો પાછળથી ટેક્સ મેસેજ પણ રૂપિયા જમા થયાનો આવ્યો હતો. જોકે મોહિનીબેને તેના એકાઉન્ટમાં બેલેન્સ ચેક કરતા કોઈ રૂપિયા જમા ન થયાનું તેમણે જણાવ્યુ હતું. તે અજાણ્યાએ મોહિનીબેનના જીપી એપ્લીકેશન ઉપર એમેઝોન બીલ પેની રિક્વેસ્ટ મોકલી હતી. જોકે એક પછી એક અજાણ્યાએ મોહિનીબેનને 8 વખત એમેઝોન બીલ પેની રિક્વેસ્ટ મોકલાવી હતી. જે રિક્વેસ્ટ મોહિનીબેને એક્સસેપ્ટ કરી હતી પરંતુ કોઈ પૈસા જમા થયા ન હતા. જોકે મોહિનીબેને તેમની સાથે છેતરપિંડી થયાનું લાગતા તેમણે એકાઉન્ટ બેલેન્સ ચેક કરતા તેમાંથી તેના ખાતામાંથી રૂ. 41 હજાર ટ્રાન્સફર થઈ ગયા હતા. આ ઘટનામાં તેઓ સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું જણાતા તેમણે સાયબર હેલ્પલાઈન નંબરમાં ફોન કરી ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના અંગે મોહિનીબેને તેમના પિતાને તેઓના એલઆઇસીના કોઈ રૂપિયા આવવાના છે કે કેમ તે અંગે પૂછતાં પિતાએ ઇન્કાર કરતાં પોતાની સાથે ઓનલાઇન ફ્રોડ થયાનું જાણતા મોહિનીબેને નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ ઉપર પોતાની સાથે અજાણ્યાએ ઓનલાઇન ફ્રોડ કરવા બદલ ફરિયાદ નોંધાવી છે. જોકે આ ઘટના જાન્યુઆરી માસમાં બની હતી, જેની ફરિયાદ હાલ નોંધાઇ છે.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:28 am

આયોજન:ગુડાના ટાઉન પ્લાનિંગ વિસ્તારને 2.10 કરોડના ખર્ચે એલઇડી સ્ટ્રીટ લાઇટથી ઝળઝળતો કરાશે

ગુડા હસ્તકના ગ્રામ્ય વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટના ખર્ચમાં બચત થાય તે માટે એલઇડી સ્ટ્રીટ લાઇટ યોજના શરૂ કરવામાં આવી છે. તેના માટે ગુડા દ્વારા રૂપિયા 2.10 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જોકે ગુડાની એલઇડી સ્ટ્રીટ લાઇટ યોજનાનો લાભ લેવો હોય તો ગ્રામ પંચાયતમાં ઠરાવ કરીને તેની દરખાસ્ત ગુડામાં કરવાની રહેશે. ત્યારબાદ સ્ટ્રીટ લાઇટનો પોલ નાંખવાથી લઇને એલઇડી લાઇટ ફીટ કરવાની કામગીરી ગુડા કરશે. જ્યારે સ્ટ્રીટ લાઇટનું વીજબીલ ગ્રામ પંચાયતે ભરવાનું રહેશે. ગાંધીનગરના મુખ્ય તેમજ આંતરિક માર્ગોને રાત્રે ઝળહળતા કરવા માટે એલઇડી સ્ટ્રીટ લાઇટનો ઉપયોગ કરાઈ રહ્યો છે. ત્યારે શહેરી વિકાસ સત્તામંડળના તાબાના ગ્રામ્ય વિસ્તારના આંતરિક તેમજ મુખ્ય માર્ગોને ઝળહળતા કરવા માટે એલઇડી સ્ટ્રીટ લાઇટ યોજના શરૂ કરાઈ છે. આ યોજના માટે ગુડાએ નાણાંકિય વર્ષ-2025-26માં રૂ. 2.10 કરોડની ગ્રાન્ટની જોગવાઇ કરાઈ ગુડાના ટાઉન પ્લાનિંગ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં એલઇડી સ્ટ્રીટ લાઇટ યોજના અંતર્ગત ગુડા દ્વાર વીજપોલ નાંખીને એલઇડી સ્ટ્રીટ લાઇટનું સંપૂર્ણ સ્ટ્રક્ચર તૈયાર કરીને અપાશે. ગુડા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારની ગ્રામ પંચાયતોને એલઇડી સ્ટ્રીટ લાઇટ યોજનાનો લાભ લેવો હોય તો ગ્રામ પંચાયતમાં ઠરાવ કરીને પંચાયત દ્વારા સ્ટ્રીટ લાઇટનું બીલ ભરાશે તેવી લેખિત બાંહેધરી આપવાની રહેશે. ત્યારબાદ ગ્રામ પંચાયતે એલઇડી સ્ટ્રીટ લાઇટ માટેની દરખાસ્ત ગુડામાં કર્યા બાદ ગુડા દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં એલઇડી સ્ટ્રીટ લાઇટ નાંખવાની કામગીરી હાથ ધરાશે.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:27 am

નિર્ણંય:સેક્ટર-28-29માં સરકારી કર્મીઓ માટે નવા 1400 સરકારી ફ્લેટ બનશે

ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓ સરકારી મકાન માટે વેઇટિંગમાં છે અને વેઇટિંગ લિસ્ટ 5 હજારને પાર કરી ગયું છે ત્યારે જૂના આવાસો તોડી નવા ફ્લેટ ટાઇપ ક્વાર્ટર બનાવવાની કામગીરીમાં ઝડપ લાવવામાં આવી છે. જૂના ભયજનક આવાસો તોડી તે જગ્યા ખુલ્લી કરી નવા આવાસ માટે પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઇ છે. જે મુજબ સેક્ટર- 28 અને 29માં આશરે 1400 નવા આવાસો બનાવવાનો નિર્ણંય લેવામાં આવ્યો છે. બંને સેક્ટરોમાં સરકારી આવાસોની ટાવર ટાઇપ કોલોની બનાવવા રૂ. 600 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગાંધીનગરના સેક્ટર 6, 7, 28, 29 અને 30માં નવા આવાસોનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જોકે, છેલ્લા ઘણા સમયથી જર્જરિત આવાસો તોડી પાડવામાં આવ્યા બાદ નવી ટાવર ટાઇપ કોલોની તૈયાર કરવા માટે ખુલ્લી જગ્યાનો સર્વે અને અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ અભ્યાસના આધારે ઉચ્ચ કક્ષાએ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા બાદ સેક્ટર- 28 અને 29ને નવા આવાસોના નિર્માણ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ બંને સેક્ટરોમાં ‘’ચ’’, ‘’છ’’, અને ‘’જ’’ કક્ષાના અંદાજિત 1400 જેટલા મકાનો બાંધવામાં આવશે. નવા આવાસોના નિર્માણ માટે એસ્ટીમેટ તૈયાર કરી દેવામાં આવ્યું છે. આગામી દિવસોમાં પાંચ અલગ-અલગ ટેન્ડર બહાર પાડીને આ કામગીરી શરૂ કરવામાં આવશે. અંદાજિત રૂ 600 કરોડના ખર્ચે આ આવાસ યોજના પૂર્ણ થશે. સરકારી કર્મચારીઓ માટે આધુનિક સુવિધા સાથેના ફ્લેટ તૈયાર કરવામાં આવશે. આ આવાસ યોજના તૈયાર થતાં હજુ બેથી ત્રણ વર્ષ લાગશે પરંતુ હાલ પણ કેટલાક ક્વાર્ટર નિર્માણાધિન હોવાથી તબક્કાવાર વેઇટિંગ લિસ્ટમાં ઘટાડો થવાની શક્યતા રહેલી છે.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:27 am

વાયરમેનને લાગ્યો કરંટ:કબીલપોરમાં વીજ થાંભલા પર ચઢેલા વાયરમેનને કરંટ લાગતા ગંભીર દાઝી ગયો

કબીલપોરમાં આવેલ એક સોસાયટીમાં ઇલેક્ટ્રીક થાંભલા ઉપર ચડેલા વાયરમેનને અચાનક કરંટ લાગતા તે ગંભીર હાલતમાં દાઝી જતાં જેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો. નિરાલી હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો.સોહમે ગ્રામ્ય પોલીસમાં જાણ કરી કે કબીલપોરના સૂર્યદર્શન સોસાયટીમાં જીઇબીમાં કામ કરતા ગણદેવીના રહેતા કલ્પેશભાઈ પટેલ વીજ થાંભલા ઉપર વાયરીંગનું કામ કરવા ચઢ્યો હતો. તેમને અચાનક કરંટ લાગતા બન્ને હાથ અને પીઠના ભાગે દાઝી ગયો હતો અને પડી જતા ઇજા થઈ હતી. તેને સારવાર માટે નિરાલી હોસ્પિટલમાં લઈ જતા જીવ બચી ગયો હતો.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:24 am

પોલીસ કાર્યવાહી:ધરમપુરમાં કાર સાથે જોખમી સ્ટંટ કરનારા યુવક ઝડપાયો

ધરમપુરમાં એક યુવકે ડુંગર ઉપર કાર સાથે જોખમી સ્ટંટ કરતી રીલ વાયરલ થઇ હતી. જેમાં કાર નં GJ-15-BB-1994 નો ચાલક ધરમપુરના પંગારબારી વિસ્તારમાં જાહેર રોડ ઉપર કાર સાથે સ્ટંટ અને વાહન ચલાવતા અન્યને પ્રોત્સાહિત કરતો હોવાનું જણાયુ હતું. આ અંગે પોલીસે તપાસ કરી કાર સાથે સ્ટન્ટ કરનાર ચાલક કાનુરબરડા આહીર ફળીયા ધરમપુરના 25 વર્ષીય હિરેન હરેશ પટેલને પોલીસ સ્ટેશનમાં લાવી પુછપરછ કરતા 29-06-2025ના રોજ મિત્રો સાથે વિલ્સનહિલ ફરવા ગયો ત્યારે પંગારબારીથી આગળ તુતરખેડ ગામના રોડ તથા રોડની બાજુમાં ગ્રાઉન્ડ ઉપર સ્ટંટ કરતો વિડીયો ઉતારી તેની ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. ઉપર મુક્યો હોવાનું કબૂલ્યું હતું. જેથી પોલીસે બીજાની જિંદગી જોખમાય તેમ બેદરકારી પુર્વક ગાડી હંકારી સ્ટંટ કરવાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:24 am

કોબ્રા સાપનુ રેસ્ક્યુ:વડ ખંભાથી પાંજરામાં ઘૂસેલા કોબ્રા સાપનુ રેસ્ક્યુ કરાયું

વડખંભા ગામના જાદવ ફળિયામાં રહેતા સવિતાબેન જાદવના ઘરે રવિવારે પેઝારીમાં મરઘા માટે બનાવેલ પાંજરામાં ખોરાકની શોધમાં એક કિંગ કોબ્રા સાપ પાંજરામાં ઘૂસી આવ્યો હતો. જેના કારણે મરઘાનો વધુ અવાજ આવતા સવિતાબેન પાંજરા નજીક જતા એક કોબ્રા સાપ અંદર નજરે પડતાં તેઓ ઘબરાઈ ગયા હતા સાપ દ્વારા 3 ઈંડા પણ ગળી ગયો હતો. જેની જાણ જીવદયા પ્રેમી પટેલને કરાતા વડ ખંભા ગામે પહોંચીને સહી સલામત રીતે સાપને પકડી લીધો અને વન વિભાગને સુપરત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:22 am

દુર્ઘટના:ઉમરગામની કંપનીમાં શેડ પડતા મેનેજરનું મોત,8ને ઇજા

ઉમરગામની કંપનીમાં સ્ટ્રક્ચર તૂટી પડતા પ્રોડક્શન મેનેજરનું ઘટના સ્થળે મોત થવા પામ્યું હતું જ્યારે આઠ કામદારોને ગંભીર ઇજા પહોંચતા સારવાર હેઠળ. ઉમરગામ જીઆઇડીસી 52 હેક્ટર વિસ્તારમાં આવેલી GB PACK પ્રાઇવેટ લિમિટેડ નામક કંપનીમાં રો મટીરીયલ મુકવા બનાવેલા સ્ટ્રક્ચર ઉપર ઓવરલોડ મટીરીયલ મૂકવાથી સવારે 10 કલાકે અચાનક સ્ટ્રક્ચર તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં કંપનીના પ્રોડક્શન એરિયામાં કામ કરી રહેલા પ્રોડક્શન મેનેજર ભાવિન જોશી ઉં.વર્ષ 44નું સ્ટ્રક્ચર નીચે દબાઈ જવાના કારણે ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે અહીં કામ કરતા અન્ય 8 કામદારોને ગંભીર ઇજા થઇ હતી.ઘટનાને પગલે કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ઉમરગામ ફાયર ફાઈટરની ટીમ,108 એમ્બ્યુલન્સ તથા ઉમરગામ પોલીસ સ્ટેશનના PI એસ.ડી. ચૌધરી અને પોલીસ ટીમ તથા ઉમરગામ મામલતદાર તથા ઉમરગામ યુઆઈએ પ્રમુખ નરેશ બંથયા, ઉદ્યોગપતિ સંતોષ રવેશિયા, ઈશ્વર બારી વિગેરે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટનાના સ્થળે ફાયરની ટીમે સ્ટ્રક્ચર નીચે દબાયેલા 8કામદારોને રેસ્ક્યુ કર્યા હતા અને નજીકના હોસ્પિટલ પહોંચાડ્યા હતા. આ ઘટનામાં કલાકો સુધી સુધી પ્રોડક્શન મેનેજર દબાઇ રહેતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે અન્ય આઠ કામદારોને ઇજા પહોંચી હતી. સુરક્ષાને લઇ સવાલો ઉઠ્યામંગળવારે બનેલી ઘટનામાં કંપનીની બેદરકારી સામે આવી છે. કંપનીનીમાં નિર્માણ કરેલું લોખંડના સ્ટ્રક્ચર પર મર્યાદા કરતા વધુ વજન સ્ટોર કર્યું હતું જેના કારણે સ્ટ્રક્ચર તૂટી પડ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણાયું છે.અહીં કામદારોની સુરક્ષાને લઇ સવાલો ઉઠ્યા છે. ઉમરગામ પંથકમાં અનેક કંપનીઓમાં આવી બેદરકારી જોવા મળશે જેના કારણે નિર્દોષ કામદારોને જીવ ગુમાવવાનો વારો આવે તેમ હોય ફેક્ટરી ઇન્સ્પેક્ટરે આવી ગંભીર બાબતે તપાસ કરી ફરી કોઇ જીવલેણ અકસ્માત ન સર્જાય તેની તકેદારીના પગલાં લેવાની જરૂર છે. ઇજાગ્રસ્ત કામદારોની યાદી‎મનબેન્દ્ર દાસ, શુભમ ખુશવા, અમરનાથ સરોજ,‎શુભમ લાડ, સાજીદ ખાન, વિકાસ ચૌધરી, સુરેન્દ્ર‎બેહેલીયા, રાજુ સોની‎

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:19 am

ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા કડક કાર્યવાહી:87 મેડિકલ સ્ટોરના લાયસન્સ સસ્પેન્ડ

વલસાડ જિલ્લા ફૂડ અને ડ્રગ્સ વિભાગે કુલ 87 મેડિકલ સ્ટોરના પરવાના સ્થગિત કરવામાં આવ્યા છે.આ સમગ્ર દવાની દુકાનોમાં મુખ્યત્વે નીચે મુજબની ખામીઓ જોવા મળી હતી. દવાની દુકાનોમાં રજીસ્ટર ફાર્માસીસ્ટની ગેરહાજરીમાં દવાઓનું વેચાણ, વેચાણબીલ બનાવ્યા વગર દવાઓનું વેચાણ, માન્ય ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વગર એન્ટીબાયોટીક દવાઓનું વેચાણ, અમુક દવાની દુકાનોમાં ફ્રીઝ બંધ હતા અથવા તો ફ્રિજમાં યોગ્ય ઠંડક ન હતી. અને સિડ્યુલ એચ- 1માં સમાવિષ્ટ દવાઓના વેચાણ બાદ અલગથી તેના રજીસ્ટર નિભાવ્યા ન હતા. આવી ખામીઓ જોવા મળતા વલસાડ જિલ્લામાં છેલ્લા છ માસમાં કુલ 87 દવાની દુકાનોને નોટીસ પાઠવી પરવાનાઓ સ્થગિત કરાયા હતા.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:15 am

GSTના દરોડામાં:જીએસટીના દરોડામાં 412 કરોડના દંડ સામે 261 કરોડની વસૂલાત થઈ

સ્ટેટ જીએસટી દ્વારા રાજ્યમાં નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન જીએસટી ગેરરીતિ સબબ પાડવામાં આવેલા દરોડા દરમિયાન મળી આવેલી ગેરરીતિઓ પૈકી 64%ની રીકવરી થઇ શકી છે. જ્યારે ઇ-વે બિલ બનાવવાની બાબતે સમગ્ર દેશમાં ટોચનો ક્રમ હાંસલ કર્યો છે. 2024-25 દરમિયાન સ્ટેટ જીએસટી દ્વારા 804 સર્ચ અને ઇન્વેસ્ટિગેશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા અને તેમાંથી 412.2 કરોડની ટેક્સ, પેનલ્ટી અને વ્યાજની રકમ સામેલ હોવાનું જણાયુ હતુ. દરમિયાન તંત્ર દ્વારા આ જ સમયગાળા દરમિયાન ટેક્સ, વ્યાજ, પેનલ્ટી થકી 261.49 કરોડની વસુલાત કરી હતી, જે અગાઉના વર્ષ 2023-24માં 227.34 કરોડ હતી એટલે કે હાલ તેમાં 15 ટકાનો વધારો થયો છે. 2024-25 દરમિયાન ગુજરાતમાં 13.98 કરોડ ઇ-વે બિલ સપ્લાયરો દ્વારા જનરેટ કરવામાં આવ્યા હતા, દેશમાં સપ્લાયરો દ્વારા બનાવવામાં આવતા ઇ-વે બિલની બાબતે પ્રથમ ક્રમાંક ગુજરાતે મેળવ્યો છે, અને ઇ-વે બિલના મુલ્યની બાબતમાં દેશમાં ગુજરાતે દ્વિતિય સ્થાન મેળવ્યુ છે. ગુજરાતમાં રજીસ્ટર્ડ કરદાતાની સંખ્યામાં પણ ખાસ્સો વધારો થયો હતો અને વર્ષ 2023-24માં કરદાતાની સંખ્યા 11,90,387 હતી જે 2024-25માં વધી અને 12,66,886 થઇ છે. દેશમાં રજીસ્ટર્ડ કરદાતાની શ્રેણીમાં ગુજરાતે તૃતિય સ્થાન મેળવ્યુ છે. રજીસ્ટ્રેશન માટેની અરજીઓના નિકાલની મહત્તમ સમયસીમા 44 દિવસની હોય છે, તેની સામે ગુજરાતમાં વર્ષ 2024-25માં સરેરાશ 18 દિવસમાં રજીસ્ટ્રેશનની અરજીનો નિકાલ કરવામાં આવ્યો છે જે અગાઉના વર્ષની સરખામણીએ 5 દિવસ વધુ સુધર્યુ છે. ગુજરાતમાં વર્ષ 2023-24 દરમિયાન રજીસ્ટ્રેશન અરજીઓ રદ્દ કરવાનો સમયગાળો સરેરાશ 40 દિવસનો રહેતો હતો, આ કામગીરી પણ જડપી બનાવવામાં આવી છે અને સરેરાશ અરજી નીકાલ વર્ષ 2024-25માં 19 દિવસમાં કરવામાં આવી હતી. જૂનમાં રાજ્યની જીએસટી આવક 11 ટકા વધીગુજરાત રાજ્યને જીએસટી હેઠળ જુન માસ દરમિયાન ₹ 6150 કરોડની આવક થયેલ છે જે જુન-2024માં થયેલ આવક ₹5562ની સરખામણીએ 11% વધુ છે. જુન-2025માં રાષ્ટ્રીય કક્ષાએ જીએસટી આવકનો ગ્રોથ 6% રહેલ છે. રાજ્યને જુન-2025માં વેટ હેઠળ ₹2833 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ ₹876 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ ₹21 કરોડની આવક થયેલ છે. આમ, રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વિધ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ ₹9880 કરોડની આવક થયેલ છે. જુન-2025માં મોબાઇલ સ્ક્વૉડ દ્વારા અન્વેષણની કામગીરી થકી રૂ.32.34 કરોડની આવક થયેલ જે ગત વર્ષના સમાન માસ દરમ્યાન થયેલ રૂ.21.46 કરોડ સામે 50.64% વધારે છે. આ આવક જીએસટી અમલીકરણ બાદ સૌથી ઊંચી માસિક આવક છે.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:13 am

વૃક્ષારોપણ:રેલવે દ્વારા કૃષ્ણનગર ખાતે વૃક્ષારોપણ સંપન્ન કરાયુ

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા નિયમિતપણે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ભાવનગર મંડળના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલ અને વેસ્ટર્ન રેલવે ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સ ભાવનગર જિલ્લા દ્વારા 1 જુલાઈના રોજ પશ્ચિમ રેલવે ભાવનગર મંડળના કૃષ્ણનગર સ્થિત મલ્ટી-ડિસિપ્લિનરી ડિવિઝનલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100 થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:10 am

ફાયરનો સ્ટાફ દોડચો થયો:કોર્પો.માં તોતિંગ વૃક્ષ મુળમાંથી ઉખડી પડ્યું

ચોમાસાને કારણે શહેરમાં અનેક વૃક્ષ ધરાશયીની ઘટના બનતી હોય છે ત્યારે આજે સવારે કોર્પોરેશનના પરિસરમાં બિલ્ડીંગ પાછળના ભાગે આવેલ ઘટાટોપ વડલો અચાનક મુળમાંથી ઉખડી પાર્કિંગની જગ્યા પર પડ્યો હતો. અને સ્થળ પર ગાર્ડન વિભાગ અને ફાયરનો સ્ટાફ દોડી ગયાં હતાં. અને કામગીરી હાથ ધરી હતી. જોકે, ઓફિસ સમય પૂર્વે વૃક્ષ પડ્યું હોવાથી કોઈ જાનહાની થઈ ના હતી.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:10 am

ધમકી આપી જમાવ્યો રોફ:સાંઇ ઇન્ફિનિયમ કંપનીના બે ટ્રકોના ડ્રાઇવરને ચમારડી ગામે ઉતારી ભગાડ્યા

ભાવનગરના વલ્લીભુર તાલુકાની હદમાં આવેલ સળિયા બનાવવાની ફેક્ટરીના બે ટ્રકો સળીયા લઇ જઇ રહ્યા હતા તે વેળાએ ચમારડી ગામ નજીક નેસડા અને મગલાણા ગામના ચાર શખ્સોએ બંન્ને ટ્રકોને ઉભા રખાવી, ડ્રાઇવરને ટ્રકમાંથી ઉતારી ભગાડી મુક્યા હતા તેમજ કંપનીના માલિકને નેસડા ગામ નજીક ટ્રક નહીં ચલાવવાનું કહી, ફોનમાં ધમકી આપતા કંપનીના માલિકે ચારેય શખ્સો વિરૂદ્ધ વલ્લભીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતા નીખીલકુમાર ગુપ્તાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વલ્લભીપુર તાલુકાના ચમારડી ગામ પાસે આવેલ સાંઇ ઇન્ફિનિયમ નામની સળિયા બનાવવાની કંપની આવેલ છે. જે કંપનીમાંથી રાજકોટ અને જામનગર ખાતે બે ટ્રકોમાં સળિયા ભરી મોકલવામાં આવ્યા હતા. બાદ જે બંને ટ્રકો ચમારડી ગામેથી થોડે દુર આવેલ સીતારામ પેટ્રોલપંપ નજીક નેસડા ગામના હરિ હુંબલ, હરીનો ભાઇ લાલા હુંબલ, અશોક હુંબલ અને મગલાણા ગામનો યુવરાજસિંહ ગોહિલએ એક સંપ કરી તેમના બંન્ને ટ્રકોને ઉભા રખાવ્યા હતા અને હરિ હુંબલે નિખીલકુમાર ગુપ્તાને વોટ્સએપમાં ફોન કરી, તમારી કંપનીના બંન્ને ટ્રકોના ડ્રાઇવરોને ભગાડી મુક્યા છે હવે પછી અમારા ટ્રકો સિવાય અન્ય ટ્રકો તમારી કંપનીમાં ચલાવશો તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી રોફ જમાવ્યો હતો. જે મામલે નિખીલકુમારે ચારેય શખ્સો વિરૂદ્ધ વલ્લભીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વધુમાં નિખીલકુમારે જણાવ્યું હતું કે, અગાઉ તેમની કંપનીમાં હરિ હુંબલના ટ્રકો ચાલતા હતા જે બાદ કંપનીએ પોતાના ટ્રકો લીધા હતા જેને લઇને તેના ટ્રકો બંધ થઇ જતાં ધમકી આપી હતી.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:09 am

બેઠકનું આયોજન:સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની ગુરૂવારે બેઠક યોજાશે

ભાવનગર જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ,ભાવનગર દ્વારા સંગઠનનાં વિવિઘ એજન્ડાઓની ચર્ચા વિચારણા તેમજ નવા શૈક્ષણિક વર્ષ-2025-26 માટે મંડળની પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનાં વાર્ષિક આયોજન અર્થે તા.3 જુલાઇને ગુરૂવારે સાંજે 5.30 કલાકે ધ નાથ હિલ્સ, ભડી (ભંડારીયા પાસે), ભાવનગર-તળાજા હાઇવેથી નજીક, હિલ ખાતે કારોબારીની એક અગત્યની મિટીંગનું આયોજન થશે. આ મિટીંગમાં ગત મિટીંગના ઠરાવનું વાંચન, નવા શૈક્ષણિક વર્ષ-2025-26નાં સંભવિત કાર્યક્રમો આયોજનો નક્કી કરવા તેમજ ગત વર્ષનાં હિસાબો મંજુર કરવા તથા સંગઠનમાં સભ્ય સંખ્યાની નોંધણી અને ટ્રસ્ટનાં જરૂરી બંઘારણીય સુધારા સંદર્ભે વિવિધ મુદ્દાઓની ચર્ચા વિચારણા કરી શકાય તે માટે કારોબારીની આ અગત્યની મિટીંગ યોજાઇ છે તેમ ભાવનગર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનાં પ્રમુખ પી.કે.મોરડિયાએ જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:06 am

રજૂઆત:ગારિયાધારમાં આઇકોનિક રોડના કામમાં ગેરરીતિ બાબતે રજૂઆત

ગારિયાધાર શહેરના આઈકોનિક રોડનું કામ એસ્ટીમેટ મુજબ થતું ન હોવાનો આક્ષેપ ખુદ સત્તા પક્ષના વોર્ડ નંબર 4 સદસ્ય નીતાબેન પ્રવીણભાઈ ગોહિલ દ્વારા આક્ષેપ કરાયો છે. સત્તા પક્ષના સદસ્ય નીતાબેન દ્વારા પ્રાદેશિક કમિશનરને રજૂઆત કરાય છે કે ગારીયાધાર ખાતે જાય કોને કરોડનું કામ ચાલી રહ્યું છે. તે કામનું ટેન્ડર જે તે એજન્સીને મળેલ હોય તે એજન્સી દ્વારા કામમાં ગેરરીતી થતી હોય તો આ કામને વહેલી તકે તપાસ કરીને યોગ્ય કરવા વિનંતી છે. આ કામમાં જે પ્રકારનું એરેસ્ટીમેન્ટ પ્રમાણે કામ થતું ના હોય તો આ કામની ગ્રાન્ટના રૂપિયાનો વ્યય થતો અટકાવવા રજૂઆત છે તેમ જણાવ્યું હતું. ગેરરીતિના અનેક આક્ષેપ થતા હોય છે. ત્યારે ખુદ સત્તા પક્ષ ભાજપમાં રહેલા વોર્ડ નંબર 4ના સદસ્ય દ્રારા ગેરરીતિ બાબતે પ્રાદેશિક કમિશનર ને રજૂઆત કરવામાં આવી છે. ત્યારે હવે જોવું રહ્યું કે તંત્ર દ્વારા આ બાબતે શું કાર્યવાહી કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:05 am

ભાસ્કર ઈમ્પેક્ટ:ચૂંટણી પંચે BLOના આડેધડ નિમણૂંકના ઓર્ડર રદ કર્યા

ચૂંટણી પંચ દ્વારા લગભગ દરેક જિલ્લાઓમાં બી.એલ.ઓ.ના આડેધડ ઓર્ડરો કરી દેવામાં આવ્યા હતા.જેનાથી સમગ્ર રાજ્યમાં બી.એલ.ઓ.માં આ બાબતે ભારે વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો. આ અંગેના સમાચાર ગત તા.26/6ના રોજ દિવ્ય ભાસ્કર ગ્રૂપના સૌરાષ્ટ્ર સમાચારમાં પ્રસિદ્ધ થયા હતા. આ સમાચારના ઘેરા પડઘા પડ્યા હતા. આ સમાચાર પ્રસિદ્ધ થયાના ચાર દિવસમાં ચૂંટણી પંચે જે આંગણવાડી વર્કર બહેનોના બી.એલ.ઓ.તરીકે ઓર્ડર કરવામાં આવ્યા હતા તે ઓર્ડર રદ કરી, તાત્કાલિક ધોરણે જે કર્મચારી બી.એલ.ઓ. તરીકે ફરજ બજાવતા હતા તેઓને પુન: એ જ ભાગમાં બી.એલ.ઓ. તરીકે ફરજ માટેના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેથી છેલ્લા કેટલાય દિવસોથી બી.એલ.ઓ.નું ગૂંચવાયેલું કોકડું આખરે સુખરૂપ સંપન્ન થતા BLOએ રાહત અનુભવી હતી. ચૂંટણીપંચ દ્વારા લગભગ દરેક જિલ્લાઓમાં બી.એલ.ઓ.ના આડેધડ ઓર્ડરો કરી દેવામાં આવ્યા હતા.જેનાથી સમગ્ર રાજ્યમાં બી.એલ.ઓ.માં આ બાબતે ભારે વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો. આ બી.એલ.ઓ.માં મોટાભાગે સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષક ભાઇઓ-બહેનો અને આંગણવાડીમાં ફરજ બજાવતા બહેનોના ઓર્ડર હતા.આ બાબતે ભારે વિરોધનો વંટોળ સર્જાયો હતો. આ બાબતે આખરે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. નવી પદ્ધતિએ નિયુક્તિથી તકલીફ અને ઘર્ષણકેન્દ્ર સરકાર દ્વારા બી.એલ.ઓ. નિમણૂકની તા.22/10/2022ની સૂચનાઓના મુદ્દા 1.1,1.2,1.3 અને 1.4માં ફેરફાર કરી નવી નિમણૂક આપવામાં આવી રહી છે. જેમાં મતદાર યાદીમાં જે ભાગમાં બી.એલ.ઓ.નું નામ ચાલે છે. તે ભાગમાં બી.એલ.ઓ.ને નિમણૂક આપવામાં આવી રહી છે. તે મુજબ જે-તે ગામમાં ફરજ બજાવતા શિક્ષકને તેના નિવાસસ્થાને નિમણૂક કરવામાં આવે તો તેને સ્થાનિક કક્ષાએ (મહિલા શિક્ષિકાઓને) આ કામગીરી ફરજના સમય બાદ કરવાની હોવાથી તકલીફો પડે તેમ છે. તથા મતદારો સાથે બિનજરૂરી ઘર્ષણનો પ્રશ્ન ઉદભવે તેમ છે અને મતદારયાદીની કામગીરી ખોરંભે ચડે એમ છે. પ્રાથમિક શિક્ષકોને આ કામગીરીમાંથી મુક્ત કરી ગુજરાતની શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે વર્ગખંડની શૈક્ષણિક કામગીરી માટે સમય આપવા અનુરોધ કરાયો છે.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:03 am

કૃષિ વિશેષ:જિલ્લામાં સર્વોત્તમ ડેરી થકી ટૂંકાગાળામાં 5 ક્રાંતિઓ થઈ

મહુવા-મ અને મહુવા-બારપરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા સર્વોત્તમ ડેરીના સર્વોત્તમ ડેરીના સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોત, સ્થાપક અને મેનેજિંગ એચ.આર.જોષી, ડાયરેક્ટર અને મંડળીના પ્રમુખ ગોમતીબેન કાપડિયા, સહકાર મેનેજર અને વિશાળ સંખ્યામાં સભાસદો સાથે મળી જેમાં એજન્ડા મુજબની તમામ કાર્યવાહી સર્વાનુમતે પસાર કરવામાં આવી. જેમાં સર્વોત્તમ ડેરીના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર એચ.આર.જોષીએ આધુનિક અને વૈજ્ઞાનિક અભિગમથી પશુપાલન વિષે માહિતી આપેલ. પોતાની આગવી શૈલીમાં પશુપાલકોને માર્ગદર્શન આપી જિલ્લામાં શ્વેતક્રાંતિ બાદ જૈવિક આનુવાંશિક ક્રાંતિ માટે હાકલ કરેલ ઉપરાંત સર્વોત્તમ ડેરી થકી ટૂંકાગાળામાં પાંચ ક્રાંતિઓ થઈ છે. જેવી કે શ્વેતક્રાંતિ, હરિયાળી ક્રાંતિ, આર્થિક ક્રાંતિ, આનુવાંશિક ક્રાંતિ અને આરોગ્ય ક્રાંતિ વિષે સવિસ્તાર માહિતી આપી હતી. વાર્ષિક સાધારણ સભામાં મહુવા-મ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ. અને મહુવા-બારપરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ.ના દૂધ ભરતા તમામ સભાસદોને રૂા.12,98,062/- બોનસના રૂપમાં નફો વહેચવામાં આવ્યો. જેમાંથી વધારે દૂધ આપનાર 1થી 10 નંબરને બોનસના ચેકનું ચેરમેન મહેન્દ્રભાઈ પનોત અને મેનેજિંગ ડિરેક્ટરના હસ્તે વિતરણ કરવામાં આવ્યું. સાથે તમામ દૂધ ઉત્પાદકને દૂધના પ્રમાણમાં માતબર રકમ ચુકવવામાં આવી. સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોતે ગાય આધારિત ઝીરો બજેટ તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી આપેલ તથા સર્વોત્તમ ડેરી થકી જિલ્લાભરના દૂધ ઉત્પાદકોને થતા ફાયદા બાબતે સમજાવેલ. ઉપરોક્ત દૂધ મંડળીઓએ વર્ષ દરમ્યાન સરાહનીય કામગીરી કરી માતબર નફો કરેલ છે તે બદલ દૂધ મંડળી અને તેના તમામ સભાસદોને અભિનંદન આપ્યા હતા.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:02 am

ભાસ્કરે મેઝર ટેપથી માપતા 15 X 5 ફૂટના ખાડા મળ્યા:VMCએ 1500 ખાડા શોધી કાઢ્યા, લોકો બોલ્યા- 'રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ તે જ સમજાતું નથી'

ચોમાસાની સાથે સાથે વડોદરાવાસીઓ માટે બે સંકટ પણ આવી જાય. એક વિશ્વામિત્રીના પૂરની ભીતિ અને બીજું બિસ્માર રસ્તાઓની સમસ્યા. આ વર્ષે હજી સુધી વિશ્વામિત્રીના પૂરનો સામનો તો નથી કરવો પડ્યો પણ શહેરના રસ્તાઓ બિસમાર બનતા વાહનચાલકોની હાલાકી વધી ગઈ છે. વડોદરા શહેરના રસ્તાની કેવી સ્થિતિ છે તે જાણવા માટે ભાસ્કર રિપોર્ટરે મેઝર ટેપ સાથે રિયાલિટી ચેક કર્યું તો, ગાજરાવાડી વિસ્તારમાં 15X5 ફૂટના ખાડા જોવા મળ્યા. કોર્પોરેશને સર્વે કરતા તેને પણ શહેરમાંથી 1500 ખાડા મળી આવ્યા છે. શહેરમાં ઠેર ઠેર ખાડા પડી જતા લોકો VMC પર કટાક્ષ કરતા બોલી રહ્યા છે કે, શહેરમાં રસ્તા પર ખાડા છે કે, ખાડામાં રસ્તો તે જ ખબર પડતી નથી. ગાજરાવાડી વિસ્તારના રસ્તા પર 15X5ના ખાડા જોવા મળ્યાભાસ્કર રિપોર્ટર આ વિસ્તારમાં પહોંચતા જ લોકો અહિયાથી પોતાના વાહનો ખૂબજ કપરી સ્થિતિમાં લઈને પસાર થતા નજરે પડી રહ્યા હતા. ત્યારે વાહન ચાલકો તો ઠીક પરંતુ રાહદારીઓને ચાલવું મુશ્કેલ બન્યું છે. આ જોઈ અમને થયું કે ખાડાની લંબાઈ , પહોળાઈ અને ઊંડાઈ જાણવાનો પ્રયાસ કરીએ. અમે મેઝર ટેપ ખોલી એક બાદ એક ખાડા માપવાનું શરૂ કર્યું ત્યારે જાણવા મળ્યું કે 1 ફૂટથી લઈ 15 ફૂટ સુધીની લંબાઈ, પાંચ ફૂટ સુધીની પહોળાઈ અને એકથી દોઢ ફૂટ સુધી ઊંડા ખાડા રોડ પર જોવા મળ્યા હતા. આ વિસ્તારના જ નહીં અન્ય વિસ્તારના લોકો પણ પરેશાન છે. રસ્તા પર કેડ ભાંગી નાખે એવા ખાડા- મિતેશ પટેલઆ અંગે આ રસ્તા પરથી પસાર થતા મિતેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, અરે એટલા બધા ખાડા છે કે કમરો તૂટી જાય બધું જ તૂટી જાય તેવી સ્થિતિ છે. ગતરાત્રે બે નાના બાળકો અહીંયા પડ્યા હતા. અહીંયા બહુ બધા ખાડા છે છેલ્લા છ મહિનાથી મારા બેટા કોઈ કામ કરતા નથી. ધારાસભ્યો કે કોર્પોરેટરોને કંઈ ખબર પડતી નથી તેઓના ઘરે જઈને ખાડા ખોદી આવવાની જરૂર છે. તો તેઓને ખબર પડે કે અહીંયા કેવા કેવા ખાડા છે. અહીંથી મહિલાઓ પસાર થાય તો કમર તૂટી જાય છે. આ અંગે અહીંથી પસાર થતા ડિમ્પલબેને જણાવ્યું હતું કે, આ ગાજરાવાડી વિસ્તાર છે, અહીંયા ખુબજ બેકાર રસ્તો છે. આ રસ્તા પરથી મારી રોજની અવરજવર છે. સગર્ભા મહિલાઓ થી લઈને દરેક લોકો અહિંયાથી પસાર થાય છે જેના કારણે બધાને અહીંથી તકલીફ ભોગવવી પડે છે. બે ત્રણ વાર હું પડતા બચી છું અને અન્ય બે ત્રણ લોકો પણ ગઈકાલે પડતા બચ્યા છે. આ બાબતે અમે કોર્પોરેશનમાં કમ્પ્લેન કરીએ છીએ પરંતુ કંઈ થતું નથી. અહીંયા મારા જીવનું જોખમ છે. બિસમાર રસ્તાના કારણે વાહનોને પણ નુકસાનઅન્ય એક રાહદારી વિલ્સનભાઈએ જણાવ્યું હતું કે, પાણીગેટથી ગાજરાવાડી વિસ્તારનો છે. અહીંયા ખુબજ ખરાબ પરિસ્થિતિ છે. અહીંયા રોજ આવવા જવાનું રહે છે ગાડીઓના સસ્પેન્શન ખરાબ થઈ થયા છે. અહીંના ચાર વાર ગાડી ગેરેજમાં મોકલવી પડે છે. સસ્પેન્શન, ટાયર ની સ્થિતિ ખરાબ છે. અહીંયા ખાડાની વાત છોડી ખાડા વધુ અને રોડ ઓછો દેખાઈ રહ્યો છે. બરોડામાં પહેલી વાર નહીં બધા જ આવી સ્થિતિ છે, આ સ્માર્ટ સિટી નહીં, ખાડા સિટી છે. વડોદારના લોકો કહી રહ્યા છે- આ વડોદરા નહીં ખડોદરા છે- ચંદ્રકાત શ્રીવાસ્તવઆ અંગે કોર્પોરેશનના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુભાઈ) સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ખાડા પડે તો સમજ્યા પરંતુ અહીંયા તો ભુવા પડે છે જેમાં આખેઆખો માણસ સમાઈ જાય. આ પ્રકારના ભુવા વડોદરા શહેરમાં 150 થી 200 પડ્યા છે. રોડની તો વાત જ ન કરો. રોડમાં ખાડો છે કે ખાડામાં રોડ તે જ ખબર પડતી નથી. આખા વડોદરા શહેરમાં ચારે બાજુ ખાડા જ ખાડા છે. ચાલુ વરસાદમાં તેઓ તેમાં સમારકામ કરે છે જે કોઈ દિવસ શક્ય જ ન હોય. એટલે વડોદરા શહેરના નાગરિકો જ કહેવા લાગ્યા છે કે આ વડોદરા નહીં ખડોદરા જ છે. વધુમાં જણાવ્યું કે, ત્યારે આપણે સમજવાનું હોય છે. ગાજરાવાડી વિસ્તારમાં રામનાથ સ્મશાન વિસ્તારમાં લોકો અંતિમ ક્રિયા કરવા માટે જાય છે. જ્યાં લોકો ભાવનાઓ સાથે જાય છે, ત્યાં ચાલવાનો રસ્તો નથી. ત્યાં ગેસ ચિંતા છેલ્લા 20 વર્ષથી બંધ છે. વડોદરા શહેરના ચારે બાજુ આ સ્થિતિ છે. શહેરના ગાજરાવાડીથી પાણીગેટ નીકળો, પાણીગેટ થી માંડવી તરફ જાવ, પ્રતાપનગર મેન રોડ નીકળ્યો, લહેરીપુરા સ્ટેશન તરફ જાવ તમામ મુખ્ય રસ્તાઓ છે ત્યાં કાંતો ખોદકામ ચાલુ હશે, કા તો ત્યાં ખાડો હશે, કાં તો કોક ત્યાં પડી ગયો હશે, હમણાં એક માણસ મરી ગયો તો તેને કહે છે કે તે દારૂ પીધેલો હતો. સવાર સવારમાં કોઈ પીતું હોય. આ બધી જ બાબતો લોકોને સ્પર્શ કરે છે. કોઈના પરિવારનો દીકરો,પતિ કે માતા પિતા મૃત્યુ પામે ત્યારે તેના પરિવાર પર દુઃખ આવે છે તમારા પરિવાર પર દુઃખ નથી આવતું. કારણ કે અધિકારીઓના રોડ સારા છે, કમિશનર અને અધિકારીઓના રોડ ચેક કરો ત્યાં સારા હશે. VMCના સર્વેમાં 1500 ખાડા મળી આવ્યાઆ અંગે વડોદરા મહાનગરપાલિકાના ઇન્ચાર્જ એડિશનલ સીટી એન્જિનિયર ધાર્મિક દવેએ જણાવ્યું હતું કે, હાલમાં વરસાદની ઋતુ શરૂ થઈ છે. વડોદરા શહેરના ચારે ઝોન પૈકીના 19 વોર્ડ અને રોડ પ્રોજેક્ટ શાખા જે મોટા રોડ બનાવતી હોય છે અને મેઇન્ટેન કરતી હોય છે. હાલ સુધીમાં રોડ રસ્તા ના સર્વે અનુસાર 1500 જેટલા ખાડાઓ સર્વેમાં સામે આવે છે. જેને હોટ મિક્સ મટીરીયલ, કોલ્ડ મીક્સ મટીરીયલ્સ અને વેટ મીક્સ મટીરીયલ્સથી પૂર્વમાં આવ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે, બ્રિજના સર્વિસ રોડ હોય અને શહેરના અન્ય રોડ પર પાણી અને ડ્રેનેજના કામો કરવામાં આવેલા છે, ચોમાસા પૂર્વે તેને પૂર્ણ થાય તે રીતે કામ કરી વેટ મેક્સથી પુરાણ કરેલું હતું. ચોમાસુ આ વર્ષે થોડું વહેલું ચાલુ થઈ ગયું હતું. જેના કારણે કાર્પેટ કરવાનો સમય આપણને મળ્યો નહોતો. એના કારણે તમામ રસ્તાઓ પર વેટ મિક્સ મટીરીયલથી રોડને મેન્ટેન કરવામાં આવે છે, વરસાદ શરૂ હોવાથી તેના કારણે ખાડા પડે છે. વરસાદ વિરામ લેશે અને તડકો આવશે ત્યારે ચોક્કસ રસ્તા ઉપર કારપેટિંગ કરવામાં આવશે અને કાયમી સોલ્યુશન ના ભાગરૂપે કામગીરી કરવામાં આવશે. આમ આદમી પાર્ટીએ બિસ્માર રસ્તા સહિતના પ્રશ્ને શાસકોને ઘેરવાનો પ્રયાસ કર્યો30 જૂનને સોમવારે આમ આદમી પાર્ટીએ વડોદરા શહેરમાં ચોમાસાની શરૂઆતમાં રોડ પર ખાડા, ગંદું પાણી, બોટકાંડના પીડિતોને ન્યાયમાં વિલંબ અને પૂરની સમસ્યાના ઉકેલમાં નિષ્ફળ મેયર રાજીનામું આપે એવી માગ સાથે પાલિકામાં પ્રદર્શન કર્યું હતું. આપના કાર્યકરોએ મેયરની ઓફિસ બહાર સૂત્રોચ્ચાર કરી તેમના નામના બોર્ડ પર શાહી નાખી તોડી નાખ્યું હતું. તેમજ મેયરની નેઇમ પ્લેટ તોડી નાંખી હતી. આ ઘટનામાં નવાપુરા પોલીસ દ્વારા મેયરની ચેમ્બર બહાર પંચનામું કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં નવાપુરા પોલીસે 24 કાર્યકર સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:00 am

હુમલાની ઘટના:ઉચડી ગામે જુના ઝઘડાની દાઝ રાખી માર મરાયો

તળાજાના ઉચડી ગામે જુની અદાવતે નજીવી બાબતને લઈ લોખંડના પાઈપ અને છરીથી હુમલો કર્યો હતો. તળાજા તાલુકાના ઉચડી ગામે રહેતા જયદીપભાઇ જીવણભાઈ બારીયા ના નાના ભાઈ લાલુને તે ગામમાં જ રહેતા જગદીશભાઈ લખમણભાઇ ખેર એ માર મારેલ હોય તેની ફરિયાદ કરેલ હોય તેની દાજ રાખીને જગદીશભાઈ ઉપરાંત સહદેવભાઈ વિક્રમભાઈ કાછેલા એ લોખંડના પાઇપ અને છરી વડે માર મારી ગાળો આપ્યાની ફરિયાદ દાઠા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 6:00 am

હાઈવે ટી સ્ટોલ પર કાર રોકાયા બાદ તરુણી પર બળાત્કાર, દાગીના લૂંટાયાં

દૌંડ પાસે પંઢરપુર દર્શને જતી મહિલાઓ પર અત્યાચાર કાર ઉભી રહી અને અચાનક ટુ વ્હિલર પર નરાધમો આવ્યાઃ તરુણીને સ્ટોલ પાછળ ખેંચી ગયાઃ ટી સ્ટોલનો માલિક વયોવૃદ્ધ હોવાથી પ્રતિકાર ન કરી શક્યા મુંબઈ - પુણે સોલાપુર હાઈવે પર રસ્તામાં ચા પીવા માટે કાર રોક્યા બાદ ત્રાટકેલા અજાણ્યા શખ્સોએ કારમાં બેઠેલી ૧૭ વર્ષીય તરુણી પર બળાત્કાર ગુજાર્યો હતો અને અન્ય ત્રણ મહિલાની આંખમાં મરચાની ભૂકી છાંટી તેમના દોઢ લાખના દાગીના લૂંટી લીધા ં હતાં. બે પરિવારના સબ્યો પંઢરપુરની યાત્રાએ જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી મુજબ, પુણે- સોલાપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર દેવદર્શન માટે ગામના બે અલગ અલગ પરિવારના સભ્યો ફોર વ્હીલરમાં સવાર થઈને પંઢરપુર જઈ રહી હતી.

ગુજરાત સમાચાર 2 Jul 2025 6:00 am

ચોરીનો મામલો:વાડીમાં તાર ફેન્સીંગની જાળી ચોરાયાની ફરિયાદ

તળાજા ખાતે રહેતા સહદેવસિંહ નટવરસિંહ વાળા ની નવા સાંગાણા સીમ માં આવેલ વાડીમાં તાર ફેન્સીંગ નું કામ ચાલુ હોય જેથી ફેન્સીંગ કરવા માટેની લોખંડની જાળી ના ત્રણ નંગ બંડલો કિંમત રૂપિયા 4,500 ની મતાની કોઈ અજાણા ઈસમો ચોરી કરી નાસી ગયા હોવાની ફરિયાદ તળાજા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 5:59 am

સ્નાતક પ્રવેશ:MKB યુનિ. દ્વારા આજે અને કાલે સ્નાતક પ્રવેશ માટે ઓનલાઈન અરજી

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે સ્નાતક અભ્યાસક્રમમાં 2025-26ની પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત જીકાસ દ્વારા ખાસ તબક્કાનું સમયપત્રક ગોઠવવામાં આવ્યું છે અને જેમાં તા. 2 અને 3 જુલાઈ બુધવાર અને ગુરુવાર, બે દિવસ વિદ્યાર્થીઓ પ્રવેશ માટે ફોર્મ ભરી શકશે. આથી હજી એક તક સ્નાતક કક્ષાએ વિદ્યાર્થીઓને પ્રવેશ માટે આપવામાં આવી છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંચાલિત તમામ સરકારી ગ્રાન્ટેડ કે ખાનગી કોલેજો ખાતે સાયન્સ, આર્ટસ, કોમર્સ, મેનેજમેન્ટ, રૂરલ ફેકલ્ટી અંતર્ગત જીકાસ દ્વારા ખાસ તબક્કાનો સમય પત્રક જાહેર કરવામાં આવ્યું છે જેમાં તારીખ બે જુલાઈ અને 3 જુલાઈ બુધવાર અને ગુરુવાર દરમ્યાન વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. તા.2 જુલાઈથી 4 જુલાઇ દરમ્યાન વિકાસ પોર્ટલ પર સબમીટ કરાયેલી અરજી તથા અસલ પ્રમાણપત્રોનું વેરિફિકેશન નજીકના સેન્ટર ખાતે કરાવી શકાશે. તેમજ સ્નાતકના તબક્કા એક અને તબક્કા બે અન્વયે પ્રવેશ માટે બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ તા.4 જુલાઈના રોજ પોતાની ચોઈસ અપડેટ કરવી હોય તો કરાવી શકશે. તા.7 જુલાઈથી તા.11 જુલાઇ દરમ્યાન વિકાસ પોર્ટલ પર વિદ્યાર્થીઓએ આપેલી ચોઇસ મુજબ પ્રવેશની ઓફર ચકાસી મળેલી તમામ ઓફર્સમાંથી ઓફર પોર્ટલ પર ઓટીપીથી કન્ફર્મ કરીને ઓફર લેટરની પ્રિન્ટ લઈને જે કોલેજમાં ઓફર લેટર જનરેટ થયો હોય અને વિદ્યાર્થી પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તો સંબંધિત કોલેજ ખાતે પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે તેમ યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવ ભાવેશભાઈ જાનીએ જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 5:59 am

ભરતીનું આયોજન:ભાવનગરમાં ST દ્વારા એપ્રેન્ટીસ તાલીમાર્થીની ભરતીનું આયોજન

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભાવનગર વિભાગમાં એપ્રેન્ટીસ એક્ટ હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર આઈ.ટી. આઈ માં મોટર મિકેનિક વ્હીકલ, ડીઝલ મિકેનિક, વેલ્ડર, ઇલેક્ટ્રિશ્યન, કોપા, પેન્ટર, મોટર વ્હીકલ બોડી બિલ્ડર, હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર ટ્રેડ પાસ કરેલ ઉમેદવારો માટે એપ્રેન્ટીસ ભરતી આઈ.ટી.આઈ મેરીટ ધોરણે યોજાનાર છે.તેથી આ ટ્રેડના પ્રમાણપત્ર ધરાવતા હોય, તેવા ઉમેદવારોએ વિભાગીય કચેરી પાનવાડી એસ.ટી ભાવનગર ખાતેથી રૂબરૂમાં તા.7 જુલાઇથી 19 જુલાઇ સુધી સવારના 11 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં કાર્યાલયના કામકાજ ના દિવસો/સમય દરમ્યાન (રજાના દિવસો બાદ) અરજી પત્રક મેળવી, ઓનલાઈન રજીસ્ટ્રેશનની નકલ અને શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાની સ્વ-પ્રમાણિત નકલો અને https://apprenticeshipindia.org/ તથા https://anubandham.gujarat.gov.in/hom બંને વેબસાઇટ પર ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવી તેની હાર્ડકોપી સહિત અરજી પત્રક તા.19 જુલાઇ બપોરના 2 કલાક સુધીમાં વિભાગીય કચેરી,પાનવાડી ભાવનગર ખાતે જમા કરાવવાનું રહેશે. જો કોઈ ઉમેદવારએ અગાઉ કોઈ પણ જગ્યાએ એપ્રેન્ટિસશીપ કરેલ હોય કે હાલમાં એપ્રેન્ટિસશીપ ચાલુ હોય તેવા ઉમેદવારોએ અરજી કરવી નહી જેની ખાસ નોંધ લેવી. મિકેનિક ટ્રેડ માટે લઘુતમ લાયકાત ધોરણ-10 તથા કોપા તેમજ હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર ટ્રેડ માટે 12 પાસ અને આઈ.ટી.આઈ ટ્રેડ પાસ રહેશે તેમજ ઉમર મર્યાદા 18થી 35 વર્ષ રહેશે તેમ ભાવનગરના વિભાગીય નિયામકની યાદીમાં જણાવાયું છે. તા.7 જુલાઇથી 19 જુલાઇ સુધીમાં કચેરીમાંથી અરજી મેળવી લેવી

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 5:58 am

એડમિશન:જીકાસ : ઘણી કોલેજોમાં 50 ટકાથી વધુ બેઠકો હજી ખાલી

હાલ વહીવટી સમસ્યાઓને લીધે ઘણી બધી કોલેજોમાં 50 % કરતાં પણ વધુ સીટ ખાલી રહી છે. વેરિફિકેશન માટે ફરીવાર આવવાનું થતું હોવાથી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને ખૂબ તકલીફ પડે છે એટલે એવું પણ સૂચન કરવામાં આવ્યું છે કે વેરિફિકેશન એડમિશન વખતે જ કરી દેવામાં આવે જેથી ફરી વિદ્યાર્થીને કોલેજ પર આવવાનું રહે નહીં. આ ઉપરાંત જે કોલેજોમાં 50 % કરતાં પણ ઓછી સીટમાં રજીસ્ટ્રેશન થયું છે તેના ડેટા જીકાસ દ્વારા જે તે કોલેજને આપી ઓફલાઈન પ્રવેશ માટે મંજૂરી આપી દેવી જોઈએ અને જે વિદ્યાર્થીઓ બીજા-ત્રીજા રાઉન્ડ પછી પણ પ્રવેશ કન્ફર્મ કરાવતા નથી તે લોકોને દૂર કરી દેવા જોઈએ. તો આવા પ્રકારના થોડાક સુધારા જો કરવામાં આવે તો જ આ પોર્ટલ ખોલવામાં આવ્યું છે તેનો લાભ મળે અને ઝડપથી પ્રવેશ પ્રક્રિયા આટોપી શકાય. બીજી બાજુ એ પણ જોવાનું રહ્યું કે એકેડમિક કેલેન્ડર પ્રમાણે ઘણી બધી કોલેજોમાં અધ્યયન કાર્ય શરૂ થઈ ગયું છે ત્યારે આ પ્રક્રિયા કેટલા મહિના સુધી ચાલશે એ પણ જોવું જોઈએ કારણ કે દિવાળી વેકેશન 17 ઓક્ટોબરની આજુબાજુ હોય આ સત્રમાં ખૂબ ઓછા દિવસો વિદ્યાર્થીઓને ભણવાના મળશે . કારણ કે સાતમ-આઠમ, નવરાત્રી જેવા તહેવારો પણ આવતા હોય ઘણી બધી કોલેજમાં મીડ ટર્મ પડતા હોય છે, આવા સંજોગોમાં વિદ્યાર્થીઓ કેટલો અભ્યાસ કરશે તે વિચારવાનો રહ્યું. આમ દર વર્ષ થતી રાબેતા મુજબની પ્રવેશ પ્રક્રિયામાં ઘણા બધા અડચણો આવે છે જેને દૂર કરવા સરકાર યથા યોગ્ય પ્રયત્ન કરી રહી છે છતાં પણ ઘણા સુધારા ને અવકાશ છે.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 5:52 am

સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડ:ભાવનગરના ત્રણ શિક્ષકોની સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડ માટે થયેલી પસંદગી

પૂજ્ય ભાઈ રમેશભાઈ ઓઝા દ્વારા સમાજના ઉત્થાન માટે કથાના માધ્યમ દ્વારા શિક્ષણ લોક શિક્ષણ તથા સામાજિક શિક્ષણ કાર્યના ઉત્થાન માટે આ સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડ અપાય છે. જેમાં શિક્ષણ માટે ઓત પ્રોત બનીને વિદ્યાયજ્ઞમાં આહુતિ આપનાર શિક્ષકોની પસંદગી કરાતી હોય છે. જેમાં વર્ષ 2025માં ભાવનગરના ત્રણ શિક્ષકો પસંદગી પામ્યા છે. ભાવનગરના ત્રણ શિક્ષકોની પસંદગી થઈ હતી જેમાં અનુક્રમે શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડ મહેન્દ્રસિંહ પરમાર જે એમકેબી યુનિ.માં ગુજરાતી ભવનના અધ્યક્ષ છે. પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ સન્માન હિરેનભાઈ ભટ્ટ જે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં પ્રાચાર્ય છે અને દીપાબેન જે દક્ષિણામૂર્તિ બાલમંદિરમાં સેવા આપી રહ્યા છે. એવોર્ડનો પ્રારંભ વર્ષ 2010 થી 2013 સુધી પોરબંદર જિલ્લાના શિક્ષક ભાઈઓ બહેનોનું ગુરુ ગૌરવ એવોર્ડ અંતર્ગત પૂજ્ય ભાઈ દ્વારા ભાવપૂજન કરાતુ હતું. ત્યારબાદ વર્ષ 2014 થી 2018 સુધી સૌરાષ્ટ્ર અને ગુજરાતના અમુક જિલ્લામાંથી શિક્ષકોની પસંદગી કરીને ભાવપૂજન કરવામાં આવતું હતું. તે ઉપરાંત વર્ષ 2019 થી દર ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ ગુજરાતના તમામ જિલ્લામાંથી 33થી વધુ શિક્ષકો તથા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ, ઉત્તમ વિદ્યામંદિર એવોર્ડ તથા શ્રેષ્ઠ ગુરુ એવોર્ડથી ભાવપૂજનથી સન્માનિત કરાય છે.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 5:50 am

ડાક વિભાગની નવીન પહેલ:પોસ્ટમેન ઘરે બેઠા બેંકિંગ અને આધાર સેવાઓ પુરી પાડે છે

1 જુલાઈએ સમગ્ર વિશ્વમાં ‘નેશનલ પોસ્ટલ વર્કર ડે’ નિમિત્તે ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે ‘ડાક કર્મચારીઓની ભૂમિકામાં ઘણા ફેરફારો આવ્યા છે. 'ડાકિયા ડાક લાયા' ની સાથે, ડાકિયા બેંક લાયા' પણ આજકાલ એટલું જ મહત્વપૂર્ણ છે. પત્રો અને પાર્સલની સાથે, આધુનિક યુગમાં લોકોના જીવન સાથે જોડાયેલી મહત્વપૂર્ણ બાબતો ઘરે ઘરે પહોંચાડનાર પોસ્ટમેન છે. આધાર કાર્ડ, પાસપોર્ટ, પાન કાર્ડ, મતદાર ઓળખપત્ર, ડ્રાઇવિંગ લાઇસન્સ, બેંક ચેક બુક, એટીએમ જેવા મહત્વપૂર્ણ દસ્તાવેજોની સાથે, વિવિધ મંદિરોમાંથી પ્રસાદ, દવાઓ અને રક્ષાબંધન નિમિત્તે રાખડીઓ પણ પોસ્ટમેન દ્વારા પહોંચાડવામાં આવી રહી છે. ગુજરાત પોસ્ટલ સર્કલમાં દરરોજ 4500થી વધુ પોસ્ટમેન અને 8000થી વધુ ગ્રામીણ ડાક સેવકો લોકોના દરવાજા ખટખટાવે છે, જે દર મહિને સરેરાશ 53 લાખ સ્પીડ પોસ્ટ, રજિસ્ટર્ડ પત્રો અને પાર્સલ અને 1.5 કરોડથી વધુ સામાન્ય પત્રો પહોંચાડે છે. ઈ-કોમર્સને પ્રોત્સાહન આપવા માટે કેશ ઓન ડિલિવરી, લેટર બોક્સમાંથી નિયમિત ડાક સંગ્રહ માટે નવી મોબાઇલ એપ્લિકેશન, પોસ્ટમેન દ્વારા એન્ડ્રોઇડ આધારિત સ્માર્ટ ફોન આધારિત ડિલિવરી અને નાણાકીય સેવાઓ પૂરી પાડવા જેવા વિવિધ પગલાં ડાક વિભાગની નવીન પહેલ છે.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 5:49 am

રજૂઆત:અલ્પાહાર યોજનાના સેવકો પ્રશ્ને રજૂઆત

પ્રધાનમંત્રી પોષણ અને મુખ્યમંત્રી અલ્પાહાર યોજના ચાલી રહી છે તેમાં માનદ સેવા આપી રહેલા સેવકોના જુદા જુદા પ્રશ્ને રજૂઆત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર સરકારની પી.એમ. પોષણ શક્તિ નિર્માણ યોજના અને ગુજરાત સરકારની મુખ્યમંત્રી અલ્પાહાર યોજનાના માનદ સેવકો તરીકે રાજ્યની 32000 શાળાઓમાં રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલ કિચન કમ શેડ કિચન ગાર્ડનમાં માનદ સેવા આપી રહ્યા છે. જેઓ દ્વારા આજે જિલ્લા કલેકટરને યોજનાનું ખાનગીકરણ તાકીદે રોકવા, યોજનામાં સમયસર અને ઉત્તમ જથ્થો ઉપલબ્ધ કરાવવા, યોજનાના શાળા કક્ષાએ કામ કરતા સંચાલકને શાળા સહાયકનો દરજ્જો આપવા, માનવ વેતનની અસમાન ચુકવણીની, આકસ્મિક ઘટનામાં વળતર અને ઈલાજની જોગવાઈ અને શ્રમ રોજગાર વિભાગના તમામ લાભો આપવા રજૂઆત કરી હતી.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 5:49 am

દબાણ હટાવવાની કામગીરી કરાઈ:ફોર લેનમાં નડતરરૂપ કુલ 47 બાંધકામો પર બુલડોઝર ફર્યું

કોર્પોરેશન દ્વારા છેલ્લા થોડા સમયથી મંદ પડેલી દબાણ હટાવવાની કામગીરી પુન: શરૂ થઈ છે. આજે કુંભારવાડા થી નારી ગામ ફોર લેન રોડ બનાવવામાં અડચણરૂપ 4 ધાર્મિક સાથે પાક્કા 47 બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું હતું. શહેરના અલગ-અલગ વિસ્તારમાં 24 રજકા પોઈન્ટ પરથી બે દિવસમાં 800 કિલો રજકો જપ્ત કરાયો હતો. કુંભારવાડા અવેડાથી દસ નાળા નારીગામ સુધી ફોર લેન રોડ બનાવવાના કામમાં નડતરરૂપ ગેરકાયદેસર પાક્કા દબાણો રાજકીય દબાણો વચ્ચે કોઈ પણ વિઘ્ન વગર હટાવી ફોર લેન રોડ બનાવવાની જગ્યા ખુલ્લી કરાવી હતી. જેમાં 17 બાથરૂમ, 5 રૂમ, 4 દુકાન, 9 કમ્પાઉન્ડ વોલ, 4 ધાર્મિક દબાણ, 5 ઓટલા અને 3 શેડ હટાવ્યા હતાં. ભાવનગર શહેરમાં ચોમાસા દરમિયાન વધતા જતા રખડતા ઢોરના ત્રાસની સમસ્યા હળવી કરવા કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા રજકા ડ્રાઈવ પણ શરૂ કરી છે અને શહેરના અલગ અલગ વિસ્તારના 24 રજકા પોઇન્ટ પરથી આજે અંદાજિત 400 કિલો સહિત બે દિવસમાં 800 કિલો રજકો તેમજ 5 લારી જપ્ત કરી હતી અને અખિલેશ ગૌશાળાએ રજકો જમા કરાવેલો છે. તેમજ શિવાજી સર્કલ પાસે સેન્ટ મેરીસ હાઈસ્કૂલની દીવાલે અનેક લારી ગલ્લાવાળાના અડિંગાને કારણે ટ્રાફિક જામની સમસ્યા વકરી હતી જેથી પાંચ દિવસ પહેલા તમામ દબાણો દૂર કર્યા બાદ પણ આજે ઉભા રહેલા અસ્થાયી દબાણ દૂર કરી 1 લારી જપ્ત કરી છે.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 5:48 am

રેલવેની સુસ્તી:એક માસથી અયોધ્યાની ટ્રેન મંજૂર પણ અમલીકરણમાં રેલવેની સુસ્તી

લાંબા અંતરની ટ્રેનો માટે ભાવનગર સતત અન્ય શહેરોની સરખામણીએ પછાત સાબિત થાય છે. અનેક મથામણો અને રાજકીય નેતૃત્વની રજૂઆતો બાદ ભાવનગરથી અયોધ્યાની સાપ્તાહિક ટ્રેનને રેલવે મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી હતી અને રેલવે બોર્ડના કોચિંગ ડિરેક્ટર દ્વારા પણ સંબંધિત રેલવે અધિકારીઓને સૂચિત કર્યા હતા. આ બાબતને એક માસથી પણ વધુ સમયગાળો વિતિ ગયો છતા અયોધ્યાની ટ્રેનને અમલીકરણના વસ્ત્રો પહેરાવવામાં ભાવનગર રેલવે તંત્રની સુસ્તતા ઉડીને આંખે વળગી રહી છે. પ્રતિ સપ્તાહ સોમવારે ભાવનગર-અયોધ્યા કેન્ટ ટ્રેન ફાળવવામાં આવી હતી, જે ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, લીમડી, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, બંદીકુઇ, ભરતપુર, ઇદગાહ, ટુંડલા, કાનપુર, લખનૌ અને બારાબંકી સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવ્યા હતા. ભાવનગરથી પ્રતિ સોમવારે બપોરે 1.50 કલાકે આ ટ્રેન ઉપડી અને અયોધ્યા કેન્ટ ખાતે મંગળવારે સાંજે 6.30 કલાકે પહોંચવાની છે, તેવી જ રીતે મંગળવારે રાત્રે 10.45 કલાકે અયોધ્યા કેન્ટથી ઉપડી અને આ ટ્રેન ભાવનગર ખાતે ગુરૂવારે સવારે 4.45 કલાકે આવી પહોંચશે. ભાવનગર થી અયોધ્યા ટ્રેન માટેની કોચ ફાળવણી સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે અને ઉદ્ઘાટન ટ્રેનની પ્રારંભિક સેવાનો પ્લાન કરવા સહિતની રેલવે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી આ ટ્રેન પણ શરૂ થઇ શકી નથી. બે-ત્રણ પ્રોગ્રામ સાથે ગોઠવાઇ રહ્યા છેભાવનગર-અયોધ્યા કેન્ટ સાપ્તાહિક ટ્રેનના ઉદ્ઘાટન સહિત અન્ય બે-ત્રણ ટ્રેનોના લોકાર્પણ કાર્યક્રમો ગોઠવાઇ રહ્યા છે. અયોધ્યા માટેની ટ્રેનની અન્ય કામગીરી સંપન્ન થઇ ચૂકી છે, મુસાફરોને લાંબા અંતરની વધુ એક ટ્રેનની સવલત મળે તે દિશામાં કાર્યરત્ છીએ. અયોધ્યા ટ્રેનના પ્રારંભનો કાર્યક્રમ ગોઠવાઇ રહ્યો છે, ટુંક સમયમાં તેની ઘોષણા યોગ્ય પ્લેટફોર્મ પરથી થશે. > અમિતકુમાર ત્રિપાઠી, ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર, ભાવનગર રેલવે ડિવિઝન

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 5:47 am

સુખદ મિલન:સુરત જવા નિકળેલા વૃદ્ધાનો 1 માસ બાદ પુત્ર સાથે મેળાપ

ભાવનગર જિલ્લાના ઉમરાળાના ઇંગોરાળા રેલ્વે સ્ટેશનથી એક વૃદ્ધા કોઇની શોધ માટે આમતેમ ભટકતા જોવા મળતા એક જાગ્રુત નાગરિકે 181 અભયમનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાયો હતો. જે બાદ વૃદ્ધાનું કાઉન્સેલિંગ દરમિયાન બિહારથી સુરત જતાં હોય અને ભુલથી ઇંગોરાળા રેલ્વે સ્ટેશન આવી ચડ્યા હોવાનું જાણવા મળતા 181 અભયમ દ્વારા સુરત ખાતે રહેતા વૃદ્ધાના પુત્રને શોધી કાઢી માતાનું પુત્ર સાથે મિલન કરાવાતા લાગણીભર્યા દૃશ્યો સર્જાયા હતા. બિહારથી પોતાના પુત્રને સુરત ખાતે મળવા માટે થઇ એક વૃદ્ધા ટ્રેનમાં બેઠા હતા. પરંતુ સુરતને બદલે ભુલથી ભાવનગર શહેર બાજુ આવતી ટ્રેનમાં બેસી જતા વૃદ્ધા ઉમરાળાના ઇંગોરાળા ગામના રેલ્વે સ્ટેશને આવી ચડ્યા હતા અને જે બાદ પુત્રની શોધ માટે આમતેમ ભટકતા હતા. જેને લઇ એક જાગ્રુત નાગરીક દ્વારા વૃદ્ધાને વ્હારે આવ્યા હતા અને પુછપરછ કરી હતી પરંતુ વૃદ્ધા ગુજરાતીને બદલે અન્ય ભાષા બોલતા હોય જેને લઇ જાગૃત નાગરિકે મહિલા 181 અભયમની મદદ લીધી હતી અને વૃદ્ધાને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપવામાં આવ્યો હતો અને તેનું કાઉન્સેલીંગ કરાયું હતું અને સોશ્યલ મિડીયામાં વૃદ્ધાનો વિડીયો બનાવાયો હતો. જે વિડીયો સુરત ખાતે રહેતા તેમના પુત્રએ જોતા તેમના પુત્રએ સખી વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કરી માતાને પરત લેવા આવતા માતાના આંખમાંથી હર્ષના આંસુ સરી પડ્યા હતા. માતા ગુમ થયાના પોસ્ટરો લગાવ્યા હતાવૃદ્ધાનો પોતાના પુત્ર સાથે એક માસ બાદ મેળાપ થવા પામ્યો હતો. એક માસ અગાઉ વૃદ્ધ માતા બિહારથી ટ્રેનમાં સુરત આવવા નિકળેલા હતા. પરંતુ ભૂલથી અન્ય ટ્રેનમાં બેસી જતા ભાવનગર પહોંચ્યા હતા. પુત્રએ પોતાની માતાને શોધવા માટે બિહારમાં પોસ્ટરો લગાવડાવ્યા હતા અને પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ ફરિયાદ પણ કરી હતી. જે બાદ સોશિયલ મીડિયામાં માતાનો વિડીયો જોયા બાદ પુત્રએ ઉમરાળા પોલીસનો સંપર્ક કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 5:45 am

'આઈ લવ યુ' એ લાગણીની અભિવ્યક્તિ, અશ્લીલ ઈરાદો ન ગણાયઃ હાઈકોર્ટ

તરુણીને આઈ લવ યુ કહેવા બદલ થયેલી ૩ વર્ષની કેદ રદ અઓગ્ય સ્પર્શ,બળજબરીથી વસ્ત્રાહરણ, અશ્લીલ ચાળા કે ટિપ્પણી જાતીય કૃત્ય ગણાય, ફક્ત આઈ લવ યુ કહેવું એ નહિઃ કોર્ટની ટિપ્પણી મુંબઈ - 'આઈ લવ યુ' કહેવું અને લાગણીની અભિવ્યક્તિ છે તેનો અર્થ જાતીય સંબંધનો ઈરાદો હોવાનું કહી શકાય નહીં, એવાં નિરીક્ષણ સાથે- બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે ૩૫ વર્ષીય શખસને એક તરુણીનો હાથ પકડી તેને આઈ લવ યુ કહેવાના ગુનાસર થયેલી ત્રણ વર્ષની કેદની સજા રદ કરી હતી. જાતીય કૃત્યમાં અયોગ્ય સ્પર્શ, બળજબરીથી વસ્ત્રહરણ કરવું, મહિલાનો વિનયભંગ કરવાના ઈરાદે અશ્લીલ ચાળા કે ટિપ્પણી કરવાનો સમાવેશ થાય છે, એમ કોર્ટે સોમવારે આપેલા આદેશમાં જણાવ્યું હતું. હાઈકોર્ટે જણાવ્યું હતું કે કેસ વિનયભંગ કે જાતીય સતામણીની વ્યાખ્યામાં નથી આવતો.

ગુજરાત સમાચાર 2 Jul 2025 5:45 am

જિલ્લામાં વરસાદી માહોલ:ભાવનગર, સિહોર અને વલભીપુરમાં વરસાદી ઝાપટા

ભાવનગર શહેર અને જિલ્લામાં આજે ધીમી ભારે ઝરમર વરસાદ વરસ્યો હતો. આજે ભાવનગર શહેરમાં બપોરના સમયે બે ત્રણ જોરદાર ઝાપટા વરસ્ી ગયા હતા જ્યારે સિહોર અને વલભીપુર તાલુકામાં ઝરમર વરસાદ વરસી ગયો હતો. ભાવનગરમાં આગામી દિવસોમાં હજી વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર શહેરમાં આજે બપોરના સમયે 9 મી.મી. વરસાદ વરસી ગયો હતો. આજના 9 મી.મી. વરસાદ સાથે શહેરમાં આ ચોમાસામાં કુલ વરસાદ 210 મી.મી. એટલે કે આઠ ઇંચથી વધી ગયો છે. આ ઉપરાંત સિહોરમાં આજે ઝાપટા સ્વરુપે 2 મી.મી. વરસાદ વરસી જતા આ ચોમાસામાં સિહોરમાં કુલ વરસાદ 498 મી.મી. થઇ ગયો છે. સિહોરમાં આ ચોમાસામાં કુલ વરસાદ 20 ઇંચને આંબવા આવ્યો છે. ભાવનગરના વલભીપરુમાં પણ આજે 2 મી.મી. વરસાદ વરસી ગયો હતો. ભાવનગર શહેરમાં આજે મહત્તમ તાપમાન 1.2 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 34 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન પણ ઘટીને 25.9 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. આજે શહેરમાં સવારના સમયે હવામાં ભેજનું પ્રમાણ 82 ટકા હતુ તે આજે સાંજે વધીને 83 ટકા રહેતા વરસાદ વરસે તેવી પૂરી સંભાવના રહેલી છે. આજે સવારે પવનની ઝડપ 12 કિલોમીટર હતી તે સાંજે વધીને 14 કિલોમીટર થઇ ગઇ હતી. આમ ભાવનગર શહેરમાં સિઝનનો કુલ વરસાદ 8 ઈંચથી વધ્યો હતો.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 5:44 am

એવરેજ કરતાં વધુ વરસાદ પડવાની શકયતા:ભાવનગરમાં આ જુલાઇમાં 9 ઇંચથી 15 ઇંચ સુધી વ્યાપક વરસાદ વરસશે

વિશ્વભરમાં ઋતુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગે હાહાકાર મચાવી દીધો છે. દરેક ઋતુના બેહાલ કરી વેરવિખેર કરી નાંખી છે.તેમાય આપણે ત્યાં ઉનાળો અને ચોમાસુ બે જ સિઝન રહી છે શિયાળો માત્ર નામ પૂરતો રહ્યો છે. જયારે ગરમી આશરે 11 મહિના અને વર્ષ દરમ્યાન વરસાદ લગભગ દરેક મહિનામાં મુલાકાત લઈ જાય છે. ભાવનગરમાં જુલાઇ સૌથી વધુ ભીનો મહિનો છે જેના 31 દિવસમાંથી 14-15 દિવસ વરસાદ આવતો જ હોય છે એક અંદાજ મુજબ વરસાદ દર વર્ષે જુલાઈમા 225 મી.મી.થી 380 મી.મી.ની આસપાસ હોય છે. એટલેકે 40% થી 50% વરસાદ ફકત જુલાઈમાં જ આવી જાય છે. ભાવનગરમા પણ ઋતુચક્ર વેરવિખેર થઈ ગયુ છે હજુ વૈશાખની ગરમીથી તાપમાન 40 ડિગ્રી સેન્ટીગ્રેડની આસપાસ હતુને ભર વૈશાખમા ચોમાસાનો માહોલ છવાઈ ગયો. ઋતુઓના કેલેન્ડર બદલાઈ ગયા. આમ છતા સાઉથ વેસ્ટ મોન્સુનની ગણતરી કરીએ તો 25 જુન આસપાસ ધડાકાભેર ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ. ભાવનગરમાં સમુદ્રના પાણીનુ તાપમાન 27-28 સે રહેશે તથા દક્ષિણ પશ્રિમના પવનો 18-22 કિ.મી ઝડપે ફૂંકાશે જે વરસાદ લાવશે. દિવસનો પ્રકાશ 13 કલાક અને 10-24 મિનિટનો રહેશે. સૂર્યોદય સવારે 6.00 કલાકે અને સૂર્યાસ્ત સાંજના 7-20થી 7-30 કલાક સુધી રહેતા દિવસ લાંબો અને રાત્રી ટૂંકી લાગશે. ભાવનગરમાં 1970માં 1430 મી.મી. વરસેલોભાવનગરમાં છેલ્લા 30 વર્ષના વરસાદી આંકડાઓની મદદથી કહી શકાય કે અહી સરેરાશ વરસાદ 650-750 મીમી. થાય છે અને મુખ્યત્વે જુલાઈમા જ વરસાદ આવે છે. આ 2025ના વર્ષનો 50 % વરસાદ તો થઈ ગયો છે ભાવનગર ભૌગોલિક રીતે ગરમ અર્ધ શુષ્ક પ્રદેશમાં આવેલો હોવાથી સરેરાશ વરસાદની પરિવર્તનશીલતા છે. અહી 1970માં 1430 મીમી અતિવૃષ્ટિ અને 1974માં 157 મીમી. અનાવૃષ્ટિ ( દુકાળ ) પણ અનુભવી છે. 2025ના વર્ષમાં ભાવનગરમાં એવરેજ કરતા વધુ વરસાદ પડવાની શકયતા છે. જે 800 મી.મી. કરતા વધે પણ ખરો.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 5:43 am

શિક્ષકોની તરફેણે ચુકાદો:હાઇકોર્ટના ચુકાદાથી શિક્ષણ સમિતિના 423 શિક્ષકોને 33 કરોડ એરિયર્સ અપાયુ

ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો અને જિલ્લા પંચાયતના શિક્ષકોના પગાર ધોરણ વચ્ચે ઘણા સમયથી વિસંગતતા હતી અને તે સંદર્ભે શિક્ષણ સમિતિના શિક્ષકોએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા જેમાં શિક્ષકોની તરફેણે ચુકાદો આવતા ન.પ્રા. શિક્ષણ સમિતિના 423 શિક્ષકોને 33 કરોડ જેવી માતબર રકમનું ચુકવણું કરાયુ છે. ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકો કે જેમને નોકરીના નવ વર્ષે 2800 ગ્રેડ પે આપવામાં આવતો હતો. જેની સામે જિલ્લાના શિક્ષકોને 4200 ગ્રેડ પે આપવામાં આવે છે. જેથી બંને વચ્ચે પગારની વિસંગતતા ઉભી થતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 423 શિક્ષકોએ ગુજરાત હાઇકોર્ટમાં વર્ષ 2016માં પીટીશન દાખલ કરી હતી. જેનો ચુકાદો શિક્ષકો તરફથી આવતા 1લી જાન્યુઆરી 1996થી જિલ્લા પંચાયતના અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો વચ્ચે જે પગારની વિસંગતતા હતી તે દૂર થઈ છે. હાઇકોર્ટ દ્વારા શિક્ષકોને મળવાપાત્ર તફાવતની રકમ મૂળ તારીખથી ચૂકવવા હુકમ કરતા નગર પાસે શિક્ષણ સમિતિ દ્વારા તમામ શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણના કેસો રિવાઇઝ કરી શિક્ષકોને 33 કરોડ જેવી માતબર રકમનું ચૂકવણું કરેલ છે. તેમજ શિક્ષકોને દર મહિને 7000 થી લઇ 12,000 સુધીનો પગારમાં ફાયદો થયેલ છે. જિલ્લા પંચાયત હસ્તકના શિક્ષકોને મળતા ઉચ્ચ પગાર ધોરણનો લાભ સરકાર દ્વારા 12મી ઓક્ટો-2023થી ઠરાવ કરી લાભો અપાયા હતા પરંતુ અગાઉની નોકરીના એરિયસ ની રકમ મળવા પાત્ર ન હોય જેને ધ્યાને લઈ શિક્ષકો દ્વારા હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. શિક્ષકોના લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નોનો અંત આવતા શિક્ષક વર્ગમાં પણ આનંદની લાગણી ફેલાયેલી છે.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 5:41 am

સૌરાષ્ટ્ર એક્સપોઝ:મનરેગામાં ભ્રષ્ટાચારીઓએ મૃતકોને પણ રોજગારી આપી!

સરકારની મનરેગા યોજનામાં 50 ટકા જોબકાર્ડવાળાને રોજગારી આપી બાકીના 50 ટકામાં મૃતકોના નામ ચડાવી તેમના નામે બેંકમાં પૈસા જમા કરાવી તે ઉપાડી લેવાનો વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે હાજરી કારકુનથી માંડીને અધિકારીઓ સુધી સાંઠગાંઠ ચાલતી હોવાની શંકા છે ત્યારે સમગ્ર મામલે સરકાર ઉચ્ચ કક્ષાએથી તપાસ કરાવે તે જરૂરી છે. સિહોરના થાળા અને જેસરના શાંતિનગર ગામે થયેલા ભ્રષ્ટાચારની વિગતો બહાર આવી છે. જ્યારે કૌભાંડ કરનાર કર્મચારીએ ગ્રામ્યજનો સાથેની વાતચીતમાં હકિકતનો સ્વીકાર પણ કરેલ છે. બેરોજગારોને રોજગારી અપાવવા માટે સરકારની મનરેગા યોજનામાં મૃતક વ્યક્તિઓના નામ ચડાવી અથવા સુરત ખાતે રોજગારી માટે સ્થાયી થયેલા લોકોના નામ ચડાવીને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. સિહોરના થાળા ગામે મૃતક મહિલાના નામે આવી રકમ ચુકવાયાના મામલે ભરતભાઈ જીવાભાઈ બારૈયા અને ગ્રા.પ.ના સભ્ય રાહુલભાઈ રણછોડભાઈ બારૈયાએ આ ગોલમાલ કરી હોવાનો આક્ષેપ કરી ગ્રામ્યજનોએ પ્રાંત અધિકારી અને મામલતદારને લેખીત રજૂઆત પણ કરી છે. જ્યારે આ અગાઉ જેસરના શાંતિનગર ગામે પણ મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર બાબતે થયેલી ફરિયાદ બાદ તંત્રએ તપાસ હાથ ધરી છે.તપાસ કરી યોગ્ય પગલા ભરાશેઆ બાબતે ફરિયાદ મળી છે જે અંગે તપાસ કરી યોગ્ય પગલા ભરવામાં આવશે. > ટી.ડી.ઓ., સિહોર આ મૃતકોના નામે પૈસા ઉધારાયા જેસરના શાંતિનગરમાં મૃત્યુ પામનાર લોકોના નામે પણ રકમ ચુકવવામાં આ‌વી છે. 50 ટકા જોબકાર્ડવાળાને અને 50%માં બાકીનો ભાગ પડતોઆ સમગ્ર મામલે ગ્રામ્યજનો વતી સંજય ડાભી નામના શખ્સે કર્મચારી ભરતભાઈ બારૈયા સાથે કરેલી વાતચીતના અંશો. સંજય : ખાળીયાના નેટમાં આ વખતે તમે હતા?ભરત : ના... ના... હું નહોતો રાહુલ હતો. સંજય : રાહુલ તો તમારૂ નામ દે છે.ભરત : હાજરી પુરવા ઈ જતો પણ મારૂ નામ પણ હાંકતો એને મેં ઉનાકાંડ કીધોને સંજય : એમન નહીં હાજરી એ પુરતો પણ વહિવટ બધો ભરતભાઈ કરતા એમ રાહુલે કીધુ ઓલા ખેરે પણ તમે વારો તારો કર્યો ગામ આખુ તમારૂ દુશ્મન છે.ભરત : જોબકાર્ડમાં નાખીએ એમાં 50 ટકા જોબકાર્ડવાળાને દેવાના હોય અને બાકીના 50 ટકામાં ટીડીઓ, મંત્રી એ બધાને દેવાના હોય... સિહોરના થાળા ગામે મૃતક મહિલાના નામે એન્ટ્રી થાળા ગામે મનરેગા યોજનામાં ભાવુબેન રૈયાભાઈ મકવાણાના નામે રકમ ઉધારવામાં આવી છે. જેમાં ભાવુબેન 2016માં અવસાન પામ્યા હોવા છતાં તેના નામે રકમ જમા કરી કોણ ઉપાડી ગયુ તે બાબત તપાસનો વિષય બની છે.

દિવ્ય ભાસ્કર 2 Jul 2025 5:40 am