SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
... ...View News by News Source

એક જ દિવસમાં 1097 વાહનચાલકોના લાયસન્સ રદ કરવા ભલામણ:બે વેપારીઓ સાથે 61 લાખની છેતરપિંડી, કોડેન સિરપનું વેચાણ કરતી મહિલા ઝડપાઇ

દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા 1097 વાહનચાલકોના લાયસન્સ રદ કરવાની ભલામણ આરટીઓને કરવામાં આવી છે, જ્યારે બીજી તરફ, શહેરના બે વેપારીઓ સાથે પાણીના ધંધામાં ભાગીદારીના નામે ₹61.40 લાખની મોટી છેતરપિંડીનો કેસ નોંધાયો છે. આ ઉપરાંત, લિંબાયત વિસ્તારમાં પ્રતિબંધિત કોડેન સિરપનું ગેરકાયદેસર વેચાણ કરતી એક મહિલાને પણ પોલીસે ઝડપી પાડી છે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ 1097 લાયસન્સ રદ કરવા ભલામણસુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા તાજેતરમાં ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા માટે વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. ગત 27મી તારીખે માત્ર એક જ દિવસમાં ટ્રાફિક સિગ્નલ તોડનાર અને રોંગ સાઇડ પર વાહન ચલાવનાર 1097 વાહનચાલકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા હતા. શહેર પોલીસ કમિશનરના આદેશ અનુસાર, લોકોમાં ટ્રાફિક સેન્સ આવે અને દાખલો બેસે તે માટે આ તમામ 1097 વાહનચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવા માટેનો રિપોર્ટ આરટીઓમાં મોકલી આપવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં સૌથી વધુ કેસ રિજીયન-2 માં નોંધાયા છે, જેમાં કતારગામ, મહિધરપુરા, પુણા અને સલાબતપુરા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ રિજીયનમાંથી એકલા 467 કેસો નોંધાયા છે. અન્ય રિજીયનોમાં નોંધાયેલા કેસોની સંખ્યા નીચે મુજબ છે રિજીયન 1 - 95 રિજીયન 2 -467 રિજીયન 3 - 207 રિજીયન 4 - 325 એક તરફ ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે, ત્યારે બીજી તરફ શહેરીજનોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. શહેરના લગભગ 20 ટકા જેટલા ટ્રાફિક સિગ્નલ પોઇન્ટ પર ટાઇમર ડિસ્પ્લે કાં તો બંધ છે અથવા સમય દર્શાવતું નથી. જેને કારણે વાહનચાલકોને સિગ્નલ ક્યારે ચાલુ થશે કે બંધ થશે તેની જાણ થતી નથી, અને ઘણી વખત મૂંઝવણમાં મુકાવું પડે છે. શહેરીજનોની માંગ છે કે પોલીસ દંડની કાર્યવાહીની સાથે સાથે સિગ્નલ પરની આ ટેકનિકલ ખામીઓ પણ તાત્કાલિક દૂર કરે. પાણીના ધંધામાં નફાની લાલચ આપી 61.40 લાખની ઠગાઇસુરતમાં છેતરપિંડીનો વધુ એક મોટો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ડુંભાલ વિસ્તારના એક પેટ્રોલપંપના મેનેજર સહિત બે વ્યક્તિ સાથે ઓક્સીક્યોર પાણીની બોટલના ધંધામાં રોકાણના નામે 61.40 લાખની ઠગાઇ કરવામાં આવી છે. અલથાણ કેનાલ રોડ પર રહેતા અને ડુંભાલના નાયરા પેટ્રોલપંપ પર મેનેજર તરીકે નોકરી કરતા વિજય ભૂદરભાઈ પટેલને રૂપેશ રણજીત દુધોરિયા નામનો ઠગ મળ્યો હતો, જેણે પોતાની ઓળખ ઓક્સીક્યોર કંપનીના માલિક તરીકે આપી હતી.જુલાઈ 2024માં શરૂ થયેલા આ પરિચય દરમિયાન રૂપેશે વિજયને પાણીના ધંધામાં રોકાણ કરવાથી સારો નફો મળશે અને ભાગીદાર બનાવી 2 થી 3 ટકા વળતર આપવાની લાલચ આપી હતી. આ લાલચમાં આવીને વિજય પટેલે ટુકડે-ટુકડે 45 લાખનું રોકાણ કર્યું હતું. આ ઉપરાંત, હિતેશ સંઘવી નામના અન્ય વ્યક્તિએ પણ રૂપેશેને 16.40 લાખ રોકાણ માટે આપ્યા હતા. શરૂઆતમાં થોડો સમય નફો ચૂકવ્યા બાદ, રૂપેશે ધંધો બરાબર ન ચાલવાનું બહાનું કાઢીને પૈસા આપવાના બંધ કરી દીધા હતા. જ્યારે વિજયે પોતાની રોકાણ કરેલી રકમ પરત માંગી, ત્યારે રૂપેશે ક્યારેક દુબઈમાં હોવાના બહાના બતાવ્યા અને અંતે પૈસા આપવાનો ઇન્કાર કરી દીધો હતો. આખરે વિજય પટેલે અલથાણ પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસે રૂપેશ દુધોરિયા વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. લિંબાયતમાં પ્રતિબંધિત કોડેન સિરપ વેચતી મહિલા ઝડપાઈસુરત શહેરમાં નશીલા પદાર્થો અને પ્રતિબંધિત દવાઓના ગેરકાયદેસર વેચાણ પર પોલીસની સતત નજર છે. લિંબાયત પોલીસે બાતમીના આધારે આઝાદ ચોક વિસ્તારમાં આવેલા એક મકાન પર દરોડો પાડીને પ્રતિબંધિત કોડેન સિરપનું વેચાણ કરતી એક મહિલાને રંગેહાથ ઝડપી પાડી છે. પકડાયેલી મહિલાનું નામ અકિલા ઉર્ફે આપકો કલીમ સૈયદ છે. પોલીસે અકિલા પાસેથી મકાનમાં છુપાવેલી રૂ. 9875 ની કિંમતની 95 બોટલ કોડેન સિરપનો જથ્થો જપ્ત કર્યો હતો. તેની પાસેથી ધંધાની રોકડ રકમ 4580 પણ મળી આવી હતી. પૂછપરછમાં અકિલાએ જણાવ્યું કે આ જથ્થો તેણે શાહરૂખ ઉર્ફે ઉંમર અસલમ શાહ પાસેથી મંગાવ્યો હતો, અને ગુડ્ડુ નામનો પેડલર તેને આપી ગયો હતો. પોલીસે અકિલા વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી છે, જ્યારે સિરપ મોકલનાર શાહરૂખ અને આપનાર ગુડ્ડુને વોન્ટેડ જાહેર કરીને તેમને પકડવા માટે વધુ તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહી યુવાનોમાં નશાખોરી ફેલાવતા તત્વો સામે પોલીસની સખત ઝુંબેશ દર્શાવે છે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 10:25 pm

ગુજરાત સહિત 15 રાજ્યોની 7 મેડિકલ કોલેજો પર EDના દરોડા:કલોલની સ્વામિનારાયણ કોલેજના મોબાઇલ ફોન, સર્વરમાં સંગ્રહિત ડેટા સહિત વિવિધ પુરાવાઓ કબ્જે કરાયા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દેશભરની સાત ખાનગી મેડિકલ કોલેજોમાં ભારે ભ્રષ્ટાચારના આરોપોને લઈને ગુરુવારે સવારથી મોટું સર્ચ ઓપરેશન હાત ધર્યું હતું. ગુજરાતના ગાંધીનગર જિલ્લાના કલોલમાં આવેલી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ (SIMSR) સહિત આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઉત્તર પ્રદેશ અને દિલ્હીના કુલ 15 સ્થળોએ એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. FIRમાં ખુલાસો થયો ED એ AC III, CBI, નવી દિલ્હી દ્વારા BNS, 2023 અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની વિવિધ કલમો હેઠળ નોંધાયેલી FIRના આધારે તપાસ શરૂ કરી હતી. FIRમાં ખુલાસો થયો છે કે, દેશભરની વિવિધ ખાનગી મેડિકલ કોલેજોના પ્રતિનિધિઓ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW), ભારત સરકાર, નવી દિલ્હી અને રાષ્ટ્રીય તબીબી આયોગ (NMC), નવી દિલ્હી સાથે સંકળાયેલા કેટલાક જાહેર અધિકારીઓ સાથે, મેડિકલ કોલેજોના નિરીક્ષણ સંબંધિત ગુપ્ત માહિતી ગેરકાયદેસર રીતે મેડિકલ કોલેજો અને મધ્યસ્થીઓને જાહેર કરી રહ્યા હતા, જેના કારણે તેઓ પરિમાણોમાં ફેરફાર કરી શકતા હતા અને મેડિકલ કોલેજોમાં શૈક્ષણિક અભ્યાસક્રમો ચલાવવા માટે મંજૂરી મેળવી શકતા હતા. ED કે CBIના કોઈ અધિકારી બોલવા તૈયાર નથીFIRમાં એ પણ ખુલાસો થયો છે કે, ઘણા લોકોએ વચેટિયા તરીકે કામ કર્યું હતું અને મેડિકલ કોલેજોને સંવેદનશીલ માહિતી ગેરકાયદેસર રીતે જાહેર કરવામાં મદદ કરી હતી અને તેમને છેતરપિંડીભર્યા આયોજનો કરવામાં મદદ કરી હતી. જેમાં અનુકૂળ નિરીક્ષણ અહેવાલો મેળવવા માટે મૂલ્યાંકનકારોને લાંચ આપવી, અસ્તિત્વમાં ન હોય તેવા અથવા પ્રોક્સી ફેકલ્ટીની તૈનાતી અને નિરીક્ષણ દરમિયાન કૃત્રિમ રીતે અનુપાલન પ્રોજેક્ટ કરવા માટે કાલ્પનિક દર્દીઓનો પ્રવેશ સામેલ છે. જોકે, આ અંગે સત્તાવાર રીતે ED કે CBIના કોઈ અધિકારી બોલવા તૈયાર નથી. આ સર્ચ ઓપરેશન દરમિયાન અનેક મોબાઇલ ફોન, લેપટોપ, સર્વરમાં સંગ્રહિત ડેટા, દસ્તાવેજો અને અન્ય ડિજિટલ પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે. EDના સૂત્રોના જણાવ્યા મુજબ આ કૌભાંડમાં કરોડો રૂપિયાની લાંચની આપ-લે થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ ED અને CBI બંને એજન્સીઓએ આ મામલે મૌન સેવ્યું છે અને કોઈ અધિકારીએ સત્તાવાર નિવેદન આપવાનો ઇનકાર કર્યો છે. તપાસ હજુ ચાલુ છે અને આવનારા દિવસોમાં વધુ ધરપકડો થવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 10:16 pm

મોડાસામાં મહિલાના ગળામાંથી સોનાના દાગીનાની તફડચી:માલપુર રોડ પર બાઈક સવાર બે યુવકોએ મંગળસૂત્ર, ચેઈન ઝૂંટવ્યા; પોલીસ તપાસ

મોડાસાના માલપુર રોડ પર સમી સાંજે બાઈક પર આવેલા બે અજાણ્યા યુવકોએ એક મહિલાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર અને ચેઈન ઝૂંટવી લીધા હતા. આ ઘટના ગાયત્રી મંદિર પાસે બની હતી. પોલીસે મહિલાની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગીતાબેન પટેલ નામની મહિલા માલપુર રોડ પર ગાયત્રી મંદિર પાસેથી પસાર થઈ રહી હતી. તે સમયે બાઈક પર આવેલા બે યુવકોએ અચાનક તેમના ગળામાંથી આશરે ત્રણ તોલાનું સોનાનું મંગળસૂત્ર અને એક તોલાનો સોનાનો દોરો ઝૂંટવી લીધો હતો. દાગીના ઝૂંટવીને તસ્કરો તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. મહિલાએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો એકઠા થયા હતા. ઘટનાની જાણ થતાં મોડાસા ટાઉન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે ભોગ બનનાર મહિલા ગીતાબેન પટેલની પૂછપરછ કરી તેમની ફરિયાદ નોંધી હતી. પોલીસે ચેઈન સ્નેચરોને ઝડપી પાડવા માટે જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 10:16 pm

ગોધરામાં શ્રીગોકુલનાથજી પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો:વૈષ્ણવો મોટી સંખ્યામાં શોભાયાત્રા અને કાર્યક્રમોમાં જોડાયા

ગોધરા શહેરમાં વૈષ્ણવ સમાજ દ્વારા શ્રી ચતુર્થપીઠાધીશ્વર શ્રીગોકુલનાથજી પ્રભુનો પ્રાગટ્ય મહોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા. ગોધરાના શ્રી ગોકુલનાથજી મંદિર (ઈશ્વરભાઈ વાળા) ખાતે 28મી નવેમ્બરના રોજ મોડી રાતે મંગળા, કેસર સ્નાન અને પલના સહિતના વિવિધ દર્શન યોજાયા હતા. ખાસ કરીને કેસર સ્નાનના દર્શન માટે મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે કળશયાત્રા (શોભાયાત્રા) ગોધરાની પ્રભાકુંજ સોસાયટીમાં રહેતા ગોપાળભાઈ બાબુભાઈ ગાંધીના ઘરેથી શરૂ થઈ હતી. આ શોભાયાત્રામાં પણ મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા. ગોધરા દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ વિકાસ મંડળ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. મહોત્સવમાં બે અલગ-અલગ શોભાયાત્રાઓ યોજાઈ હતી. જેમાં ભગવાનના સુસજ્જ રથો, ભક્તિગીતો અને બેન્ડ-બાજા સાથે વૈષ્ણવજનો જોડાયા હતા. એક શોભાયાત્રા ગોધરા શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ શ્રી ગોકુળનાથજી મંદિર પહોંચી, જ્યારે બીજી શોભાયાત્રા શ્રીગુંસાઈજીની બેઠક ખાતે પહોંચી હતી. શોભાયાત્રા દરમિયાન 'જય જય શ્રી ગોકુલેશ'ના નાદ ગુંજી ઉઠ્યા હતા. શ્રી ગોકુલનાથજી પ્રભુ પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે મનોરથી તરફથી ગોધરાની દશા શ્રીમાળી વણિક વાડીમાં મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં વૈષ્ણવોએ આ પ્રસાદનો લાભ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 10:13 pm

તક્ષશિલા અગ્નિકાંડના પીડિત પરિવારોની વળતરની રકમ મેળવવા કોર્ટમાં અરજી:સાડા પાંચ વર્ષના સમયગાળા બાદ 40 વાલીઓએ અરજી કરી, પરિવારોનો કાનૂની લડતનો ખર્ચ 3 કરોડથી વધુ થયો

સુરતના તક્ષશિલા આર્કેડ અગ્નિકાંડના પીડિત પરિવારોએ ઘટનાના આશરે સાડા પાંચ વર્ષના લાંબા ગાળા બાદ વળતરની રકમ મેળવવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ વળતરની રકમ હાઇકોર્ટ દ્વારા તે આરોપીઓ પાસેથી જમા કરાવવામાં આવી હતી, જેમને કેસ દરમિયાન જામીન આપવામાં આવ્યા હતા. કુલ 1.30 કરોડની રકમ કોર્ટમાં જમા છે, જે મૃતક વિદ્યાર્થીઓના વાલીઓને અંદાજે પાંચ લાખ અને ઇજાગ્રસ્તોને 53 હજાર રૂપિયાના રૂપમાં મળવાની શક્યતા છે. આ રકમ મેળવવા માટે કુલ 40 વાલીઓએ અરજી કરી છે. પરિવારોનો કાનૂની લડતનો કુલ ખર્ચ 3 કરોડથી વધુ થયોવાલીઓએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી છે કે, ગુજરાત હાઇકોર્ટે જામીન અરજી ગ્રાન્ટ કરતી વખતે વળતર ચૂકવવાનો હેતુ સ્પષ્ટ રાખ્યો હતો. આ રકમ સ્વીકારવાથી તેમના ચાલતા કાયદાકીય કેસોને કોઈ બાધ નહીં આવે. જોકે, આ કેસ સેશન્સ કોર્ટથી શરૂ થઈને છેક સુપ્રીમ કોર્ટ સુધી લડવામાં આવ્યો હોવાથી, પીડિત પરિવારોનો કાનૂની લડતનો કુલ ખર્ચ 3 કરોડથી વધુ થઈ ગયો છે. આમ, જમા થયેલું વળતર કાનૂની ખર્ચ સામે ઘણું ઓછું સાબિત થઈ રહ્યું છે. 14 માંથી 5 આરોપીઓએ વળતરની રકમ જમા કરાવીઆ કેસમાં જામીન મેળવનાર 14 આરોપીઓ પૈકી, મુખ્યત્વે પાંચ આરોપીઓએ વળતરની રકમ જમા કરાવી છે. તેમાં દિનેશ વેકરિયા અને હરસુખ વેકરિયાએ 35-35 લાખ, રવિન્દ્ર કહાર અને સવજી પાઘડલે 25-25 લાખ, જ્યારે ભાર્ગવ બુટાણીએ 10 લાખ જમા કરાવ્યા હતા. આ તમામ રકમ મળીને કુલ 1.30 કરોડ થાય છે, જે હવે વાલીઓને વહેંચવામાં આવશે. આ અગ્નિકાંડમાં અનેક એવા પરિવારો છે જેની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં તેઓ ન્યાય માટેની કાનૂની લડત લડી રહ્યા છે. કાનૂની ખર્ચનું ભારણ એટલું વધારે છે કે કેટલાક પરિવારના કાનૂની ખર્ચ અન્ય પરિવારો ભેગા મળીને ઉપાડી રહ્યા છે. ન્યાયની અપેક્ષામાં જીવનના છ વર્ષ વીતી જવા છતાં, પીડિતો સતત સંઘર્ષ કરી રહ્યા છે. વળતરની રકમ મળવાથી પરિવારોને થોડી રાહતહવે કોર્ટમાં વાલીઓની આ અરજી પર આગામી સમયમાં ચુકાદો આવવાની શક્યતા છે, જે અંતર્ગત તેઓને જમા થયેલું વળતર મળશે. આ કેસમાં વાલીઓ તરફથી એડવોકેટ પિયુષ માગુકિયા અને પારસ વસાણીએ કોર્ટમાં હાજરી આપી હતી. વળતરની રકમ મળવાથી પરિવારોને થોડી રાહત મળશે, પરંતુ ન્યાય માટે થયેલો અસાધારણ ખર્ચ અને સમયની ખોટ આ ઘટનાની પીડાને વધુ ઘેરી બનાવે છે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 10:06 pm

રાજકોટ ક્રાઈમ ન્યૂઝ:વ્યાજખોરોના ત્રાસથી કંટાળી કારખાનેદારનો આપઘાત

રાજેશભાઈ બાબુભાઈ મારકણા (ઉં.વ.45) પોતાના ઘર પાસે પાનના ગલ્લા પર હતા ત્યારે ઝેરી દવા પી લેતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અહીં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતકને સંતાનમાં 1 પુત્ર અને 1 પુત્રી છે. ગઈકાલે રાત્રે તેઓ પોતાના ઘર નજીક આવેલ પાનના ગલ્લે ઉભા ઉભા ઝેરી દવા પી ગયા બાદ પુત્ર તીર્થને ફોન કરી જાણ કરી હતી જેથી તાત્કાલિક પુત્ર ત્યાં દોડી ગયો હતો અને શું થયું પૂછતાં તેમને જણાવ્યું હતું કે, પોતે વ્યાજના ચકરડામાં ફસાઈ ગયાનું છે અને પછી તેઓ બેભાન થઈ ગયા હતા જેથી તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક રાજેશભાઈ હુડકો ચોકડી પાસે ડિવાઇન ડાયમંડ નામે હીરાનું કારખાનુ ચલાવતા અને વ્યાજખોરીમાં ફસાતા કારખાનું 6 મહિના પહેલા વેચાઈ ગયું હતું આ પછી પણ વ્યાજખોર હેરાન કરતા હતા. જો કે કોની પાસેથી કેટલા વ્યાજે લીધા હતા એ અંગે પરિવારજનો અજાણ હોવાથી પોલીસે રાજેશભાઈનો મોબાઈલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે. ચાઈનીઝ દોરી સાથે એક ઝડપાયો આજીડેમ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મહીકા ગામના પાટીયા પાસે મામાદેવના મંદિર નજીક જાહેર રોડ પર પતંગ દોરાનું વેચાણ કરનાર શખ્સની પોલીસે પૂછતાછ કરતા તેણે પોતાનું નામ અશ્વિન અશોકભાઈ મેણીયા (ઉ.વ.21) જણાવ્યું હતું તેની પાસે રહેલ દોરી ચેક કરતા તે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી હોવાનું માલુમ પડ્યું હતું જેથી પોલીસે ચાઈનીઝ દોરીની 45 ફીરકી કબજે કરી અશ્વિન મેણીયા વિરુદ્ધ જાહેરનામા ભંગ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ક્રિકેટ સટ્ટો રમતો એક પકડાયો ભક્તિનગર પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન બાતમી મળી હતી કે, મીલપરા મેઇન રોડ પર વૃંદાવન ડેરી પાસે જાહેર રોડ પર એક શખસ મોબાઇલમાં આઈ.ડી મારફત ક્રિકેટ સટ્ટો રમી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસની ટિમ અહીં પહોંચી મોબાઇલમાં શંકાસ્પદ પ્રવૃત્તિ કરી રહેલા શખસની પૂછતાછ કરતા તેણે પોતાનું નામ રવિ માધવદાસ ફીચડીયા (ઉ.વ.25) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ શખસના મોબાઇલની તપાસ કરતા તેમાં એમઆરએમ 777ડોક કોમ નામની એપ્લિકેશન જોવા મળી હતી. જે એપ્લિકેશનમાં આઈડી મારફત આ શખસ ક્રિકેટ મેચ પર ઓવર અને રનફેરનો દાવ લગાડી ક્રિકેટ સટ્ટો રમતો હોવાનું માલુમ પડ્યું હતું. આઈડીમાં બેલેન્સ ચેક કરતા રૂપિયા 1.25 લાખની બેલેન્સ જોવા મળી હતી. પોલીસે મોબાઇલ ફોન કબજે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અટલ સરોવરમાં લાયસન્સ વિનાની ધમધમતી સિક્યુરિટી એજન્સીના સંચાલક સામે ફરિયાદ દાખલ અટલ સરોવર ખાતે સિકયુરીટી એજન્સીના સંચાલક લાયસન્સ વગર સિકયુરીટી એજન્સી ચલાવતા હોવાનું ધ્યાને આવતા સ્ટાફે અટલ સરોવર ગેટ નંબર 1 પાસે જઈ ત્યાં હાજર સિકયુરીટી ગાર્ડની પુછપરછ કરતાં તેણે પોતાનું નામ રફિક ધોરા (ઉ.વ.45) હોવાનું જણાવ્યું હતું તેની પુછપરછ દરમ્યાન વન-મેન બાઉન્સર સિકયુરીટી એજન્સીના સંચાલક ઈમ્તિયાઝ બેલીમની સિકયુરીટી એજન્સીમાં અટલ સરોવર ખાતે દિવસના 500ના રોજથી છેલ્લા છ માસથી નોકરી કરતા હોવાનું અને બપોરે 3થી રાત્રે 9 સુધી નોકરીનો સમય હોવાનું જણાવ્યું હતું. આથી સંચાલક ઈમ્તિયાઝ સાથે ફોન પર વાતચીત કરતાં તેની પાસે લાયસન્સ નહીં હોવાનું જણાવતાં તેની સામે યુનિવર્સિટી પોલીસમાં ગેરકાયદેસર સિક્યુરિટી એજન્સી ચલાવવા બાબતે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી હતી. છાતીમાં કફ ભરાઈ જતા 30 વર્ષીય શિક્ષિકાનું મોત છાતીમાં કફ ભરાઈ જતા 30 વર્ષીય શિક્ષિકા હેતલ ભાડેશીયાનું મોત નીપજ્યું છે. હેતલબેન વિનોદભાઈ ભાડેશીયા (ઉં.વ.30) આજરોજ વહેલી સવારે 4 વાગ્યા આસપાસ ઘરે હતી ત્યારે અચાનક કોઈ કારણોસર બેભાન થઈ જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા ડોકટરે તપાસી મૃત જાહેર કરી હતી. હેતલ 4 બહેનમાં મોટી હતી. પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી. તેને છાતીમાં કફ ભરાતા બીમાર પડી હતી જેની સારવાર ચાલુ હતી દરમિયાન આજે ઘરે અચાનક બેભાન થઈ ગઈ હતી. યુવતીના મોતથી પરિવારમાં શોક છવાયો હતો. યુવાનને હાર્ટ એટેક, 2 સંતાનોએ પિતાની છત્રછાયા ગૂમાવી જયદીપ પ્રકાશભાઈ દક્ષિણી (ઉં.વ.35) બપોરે 1 વાગ્યા આસપાસ પોતાના ઘરે બેભાન થઈ જતા હોસ્પિટલ ખસેડતા તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો. પોતે ખજૂર પેકીંગનું કારખાનું ચલાવતા હતા અને સંતાનમાં જયદીપને 2 પુત્ર હોવાનું સામે આવ્યુ છે. બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવકને હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 10:00 pm

આણંદમાં પ્રમુખસ્વામી મહારાજનો 104મો જન્મ જયંતિ મહોત્સવ:BAPS મંદિર રજત જયંતિ સાથે મુખ્ય સભામાં 15 હજાર ભક્તો ઉપસ્થિત રહ્યાં

પ્રમુખસ્વામી મહારાજનો 104મો જન્મ જયંતિ મહોત્સવ અને આણંદ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો રજત જયંતિ મહોત્સવ અક્ષરફાર્મ ખાતે ભવ્યતાપૂર્વક ઉજવાયો. આ પ્રસંગે દેશ-વિદેશથી 15 હજારથી વધુ હરિભક્તો અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ 2000માં પ્રમુખસ્વામી મહારાજે આણંદ નગરને શિખરબદ્ધ મંદિર અર્પણ કર્યું હતું. આ મંદિરને 25 વર્ષ પૂર્ણ થતાં, વર્ષ 2025ને 'આણંદ મંદિર રજત જયંતિ' વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. મંદિરના ગૌરવપૂર્ણ યોગદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. મુખ્ય ઉજવણીના ભાગરૂપે 22 થી 28 નવેમ્બર દરમિયાન વિવિધ કાર્યક્રમો સંપન્ન થયા, જેનો આજે મુખ્ય ઉજવણી દિન હતો. અક્ષરફાર્મમાં યોજાયેલી આ મુખ્ય સભામાં દિવ્ય વાતાવરણ છવાયું હતું. સભાની શરૂઆત સાળંગપુરના સંગીતજ્ઞ સંતો અને યુવાવૃંદ દ્વારા પ્રસ્તુત ધૂન અને પ્રાર્થનાથી કરવામાં આવી. પ્રવક્તા વેદમનન સ્વામીએ ઉત્સવની પૂર્વભૂમિકા રજૂ કરી. ત્યારબાદ આણંદ વિદ્યાનગરના યુવાવૃંદ દ્વારા 'આજ મારે ઘેર થાય લીલા લહેર' શીર્ષક હેઠળ સ્વાગત નૃત્ય પ્રસ્તુત થયું હતું. અનુભવી અને વરિષ્ઠ સંતોના વક્તવ્યોની શૃંખલા શરૂ થઈ. આ વક્તવ્યોમાં શાસ્ત્રોના વચનો સાથે પ્રમુખસ્વામી મહારાજના જીવનને વધાવવામાં આવ્યું. ઉપસ્થિત સૌએ તેમનામાં આત્મનિષ્ઠા, ધર્મનિષ્ઠા, ભક્તિનિષ્ઠા, સ્થિતપ્રજ્ઞતા, આત્મીયતા, સમર્પણભાવ અને દેહાતીત સ્થિતિના દર્શન કર્યા હતા. સંતોએ ભારપૂર્વક જણાવ્યું કે એ જ પ્રમુખસ્વામી મહારાજ આજે મહંતસ્વામી મહારાજ રૂપે કાર્ય કરી રહ્યા છે અને ભગવાન સ્વામિનારાયણ અક્ષરબ્રહ્મ ગુરુપરંપરા દ્વારા સદૈવ પ્રગટ જ છે. આ મુદ્દો પ્રત્યેક વક્તવ્ય દ્વારા રજૂ થતો રહ્યો, જેની સાથે પ્રસંગોપાત્ત નૃત્યોની સંગત પણ ભળી. આજના કાર્યક્રમમાં વિદ્વાન અને વરિષ્ઠ સંતો આનંદસ્વરૂપ સ્વામી અને આત્મસ્વરૂપ સ્વામીના વક્તવ્યો રજૂ થયા. આ પ્રસંગે સ્વામીબાપાને ભાવવંદના કરવા પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે સ્વામીબાપા સાથેના સંસ્મરણો રજૂ કર્યા હતા. આ ઉપરાંત, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ અને એન.ડી.ડી.બી.ના ચેરમેન મિનેશ શાહ પણ આ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. અંતે સૌનાં હૈયે ઊછળતી ઊર્મિઓ કલાત્મક પુષ્પહારો અને પુષ્પાંજલિથી સ્વામીબાપાનાં ચરણોમાં વહી રહી. આજના પ્રસંગે સદગુરુ સંતવર્ય ત્યાગવલ્લભ સ્વામીના દર્શન આશીર્વાદ પણ પ્રાપ્ત થયા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કોઠારી યજ્ઞસેતુ સ્વામી, વરિષ્ઠ સંત ભગવદચરણ સ્વામી સાથે સૌ સંતો, અગ્રેસરો, કાર્યકરો અને સ્વયંસેવકોએ અત્યંત ખંત અને આયોજનબદ્ધ સેવા કરીને ઇષ્ટદેવ અને ગુરુનો રાજીપો પ્રાપ્ત કર્યો હતો. આજે આણંદ ઉપરાંત સમગ્ર ચરોતર તેમજ દેશ-પરદેશથી 15 હજાર કરતાં વધારે હરિભક્તો-ભાવિકો પધાર્યા હતા. સૌ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 9:30 pm

ભુજમાં ગેરકાયદે ખનીજ ખનન ઝડપાયું:માનકુવા પાસે લોડર, ચકરડીઓ સાથે ત્રણ શખસો ઝડપાયા

પશ્ચિમ કચ્છ-ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) ભુજ તાલુકાના માનકુવા નજીક મખણા ગામની સીમમાંથી ગેરકાયદેસર લાલ પથ્થર (બેલા)નું ખનન ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહીમાં એક લોડર અને પથ્થર કાપવાની ત્રણ ચકરડીઓ જપ્ત કરવામાં આવી હતી, જ્યારે ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. LCB પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.જેઠી અને પોલીસ સબ ઇન્સ્પેકટર જે.બી.જાદવના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન સુરેન્દ્રસિંહ ઝાલા અને નવીનભાઈ જોષીને બાતમી મળી હતી. બાતમી મુજબ, મીરજાપરના વિરેન્દ્રસિંહ દાદુભા પઢીયાર મખણા ગામની દક્ષિણ બાજુની સીમમાં ગેરકાયદેસર રીતે લાલ પથ્થરનું ખનન કરી રહ્યા હતા. LCB ટીમે સ્થળ પર તપાસ કરતા વિરેન્દ્રસિંહ પઢીયાર (ઉ.વ. 22, રહે. મીરજાપર) હાજર મળી આવ્યા હતા. તેમની સાથે ખાણકામ કરતા કપિલદેવ અશોકકુમાર બીંદ (ઉ.વ. 27, રહે. મખણા) અને લોડર ડ્રાઇવર નુરમામદ મુસા જત (ઉ.વ. 35, રહે. પીરવાળી, મખણા) પણ મળી આવ્યા હતા. સ્થળ પરથી લાલ પથ્થર કાપવાની ઇલેક્ટ્રિક મોટરવાળી લોખંડની ત્રણ ચકરડીઓ અને એક લોડર મળી આવ્યું હતું. આજુબાજુના વિસ્તારમાં મોટા પાયે લાલ પથ્થરનું ખનન થયેલું જોવા મળ્યું હતું. આરોપીઓ પાસે ખનન કરવા માટે કોઈ લીઝ કે આધાર-પુરાવા ન હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે માનકુવા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ત્રણ લાલ પથ્થર કાપવાની ચકરડીઓ (કિંમત રૂ. 1.35 લાખ) અને એક લોડર (કિંમત રૂ. 1,00,000)નો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 9:25 pm

વલસાડમાં સગીરાનું અપહરણ કરનાર આરોપી ઓડિશા બોર્ડરથી ઝડપાયો:પોલીસે ટેકનિકલ સર્વેલન્સથી સગીરાને શોધી, યુવક સામે કાર્યવાહી

વલસાડ સિટી પોલીસે અપહરણ કરાયેલી 16 વર્ષીય સગીરાને ઓડિશા બોર્ડર નજીકથી શોધી કાઢી છે. આ કેસમાં આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી છે. વલસાડ શહેરના એક શ્રમિક પરિવારની 16 વર્ષની દીકરી ઘરમાંથી ગુમ થતાં પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. સગીરા ન મળતાં પરિવારે વલસાડ સિટી પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. વલસાડ SP યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ અને વલસાડ સિટી PI દિનેશ પરમારના નેતૃત્વમાં પોલીસે તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસ ટીમે સગીરા અને આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું. પોલીસ ટીમે ઓડિશા બોર્ડર નજીકથી યુવક કુંદનકુમાર ઉર્ફે વેંકી બીરજુ પાસવાન (રહે. કાંતિ ગામ, ઝારખંડ)ને સગીરા સાથે ઝડપી પાડ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી કુંદનકુમારે સગીરા સાથે મિત્રતા કેળવી હતી. તેણે લગ્નની લાલચ આપીને સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને કાયદેસરના વાલીપણામાંથી તેનું અપહરણ કર્યું હતું. વલસાડ સિટી પોલીસે આરોપીનો ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી કબ્જો લીધો છે. સગીરાનું મેડિકલ પરીક્ષણ કરાવી તેનું નિવેદન નોંધવામાં આવ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 9:21 pm

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધરમપુર PSVTCની મુલાકાતે:PSVTCને પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ હેઠળ સામેલ કરવાની જાહેરાત કરી, વિદ્યાર્થીઓને નિમણૂકપત્રો એનાયત કર્યાં

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા પ્રમુખસ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર (PSVTC)ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત પ્રમુખસ્વામી મહારાજની 104મી જન્મજયંતિ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે હતી, જ્યાં મુખ્યમંત્રીએ સંસ્થાની કામગીરીની સમીક્ષા કરી. BAPS સંસ્થા આદિવાસી ઉત્કર્ષ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપી રહી છે. PSVTC દ્વારા ધરમપુર અને આસપાસના વિસ્તારોના યુવાનોને ઉદ્યોગ-લક્ષી તાલીમ, ટેકનિકલ કૌશલ્ય અને આધુનિક કાર્યક્ષમતા પૂરી પાડવામાં આવે છે. આનાથી ઘણા વિદ્યાર્થીઓ આત્મનિર્ભર બન્યા છે. કેન્દ્રની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીમાં 1,000 જેટલા વિદ્યાર્થીઓએ અહીંથી વ્યાવસાયિક તાલીમ મેળવીને સફળ કારકિર્દી બનાવી છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ PSVTC ને PPP (પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ) મોડેલ હેઠળ સામેલ કરવાની જાહેરાત કરી હતી. આ નિર્ણયને ઐતિહાસિક ગણાવવામાં આવ્યો છે. આ કાર્યક્રમ દરમિયાન, તાલીમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને પ્લેસમેન્ટ મેળવનારાઓને નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. તિથલ મંદિરના કોઠારી વિવેક સ્વરૂપ સ્વામીએ મુખ્યમંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોનું હારતોરા કરીને સન્માન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 9:11 pm

રાજ્યના ખેડૂતો માટે રાહત પેકેજને લઈ મોટા સમાચાર:10 હજાર કરોડના કૃષિ રાહત પેકેજની સમય મર્યાદા વધારી, હવે 5 ડિસેમ્બર સુધી અરજી કરી શકશો

ગત 7 નવેમ્બર, 2025ના રોજ રાજ્ય સરકારે પાક નુકસાની માટે 10 હજાર કરોડના ઇતિહાસના સૌથી મોટા કૃષિ પેકેજની જાહેરાત કરી હતી. આ સહાય પિયત અને બિનપિયત માટે એક સમાન ધોરણે તમામ પાક માટે 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 22000 ચૂકવાશે, એમાં 16500 ગામના ખેડૂતોને લાભ મળશે. આ સહાય પેકેજનો લાભ 14મી નવેમ્બર (શુક્રવાર)ના રોજ બપોરે 12 કલાકથી 15 દિવસ સુધી https://krp.gujarat.gov.in પોર્ટલ ખેડૂતોની અરજી સ્વીકારવામાં આવી રહી હતી. જોકે, રાજ્ય સરકાર દ્વારા અરજીની સમયમર્યાદામાં 7 દિવસનો વધારો કરાવમાં આવ્યો છે. જેથી ખેડૂતો હવે 5 ડિસેમ્બર 2025 સુધી અરજી કરી શકશે. ખેડૂત સહાયથી વંચિત ન રહે તે માટે સમયમર્યાદા વધારી: જીતુ વાઘાણીમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તથા ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સલાહ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યનો કોઈપણ નુકસાનગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવા સમયમર્યાદા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ રાજ્યના તમામ નુકસાનગ્રસ્ત ખેડૂતોને અપીલ કરી છે કે, જેઓએ હજુ સુધી અરજી કરી નથી તેઓ આવતા 7 દિવસમાં અવશ્ય અરજી કરે અને સરકાર દ્વારા આપવામાં આવતી સહાયનો લાભ મેળવે. 2020 અને 2024 કરતાં આ વખતે સ્થિતિ વધારે ખરાબ2020માં કમોસમી વરસાદથી થયેલા પાકના નુકસાન પેટે એ સમયે સરકારે 3795 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ અગાઉ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં આવેલા ભારે વરસાદને કારણે પણ પાકને નુકસાન થતાં સરકારે ખેડૂતો માટે 947 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું હતું, જોકે એ વખતે પંચમહાલ, કચ્છ, વાવ-થરાદ, પાટણ અને જૂનાગઢ એમ માત્ર 5 જ જિલ્લાના માત્ર 18 તાલુકાનો જ સમાવેશ કર્યો હતો. એ અગાઉ પણ ગત વર્ષે ઓક્ટોબર-2024માં કમોસમી વરસાદથી 20 જિલ્લાના 136 તાલુકાનાં 6112 ગામમાં પાકને નુકસાન થયું હતું, જેને કારણે સરકારે 1462 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. જો કે 7 નવેમ્બર, 2025ના રોજ 10 હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 9:07 pm

ગીર સોમનાથ SPએ LCB-SOGના 27 પોલીસકર્મીઓની બદલી કરી:SMC દરોડા બાદ જિલ્લા પોલીસમાં મોટા ફેરફારોનો આદેશ

ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવા તથા ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ મોટો નિર્ણય લીધો છે. તેમણે LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) અને SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)માં મોટા પાયે ફેરફારો કર્યા છે. આ કાર્યવાહી અંતર્ગત કુલ 27 પોલીસ કર્મચારીઓની સામૂહિક બદલીના આદેશ આપવામાં આવ્યા છે. LCBમાંથી 12 કર્મચારીઓ અને SOGમાંથી 7 કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. જ્યારે, જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાંથી 8 કર્મચારીઓને LCBમાં નિમણૂક આપવામાં આવી છે. તાજેતરમાં વેરાવળમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા વિદેશી દારૂનો દરોડો પાડવામાં આવ્યો હતો. આ ઘટના બાદ જિલ્લા પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા હતા, જેના પગલે SP જાડેજાએ આ કડક પગલાં લીધા છે. આ કાર્યવાહીથી સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. લાંબા સમયથી ચર્ચામાં રહેલી LCB અને SOG પર સીધી અસર કરતી આ કાર્યવાહી દ્વારા પોલીસ તંત્રમાં શિસ્ત, પારદર્શિતા અને જવાબદારી વધારવાનો કડક સંદેશ આપવામાં આવ્યો છે. જિલ્લાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં પણ આ પગલાંને લઈને વ્યાપક ચર્ચા ચાલી રહી છે. આ નિર્ણયથી ગુનાહિત પ્રવૃત્તિઓ સામે વધુ કડક અને નિષ્પક્ષ કાર્યવાહી થશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. જાહેરહિતમાં બદલીઓ – LCBમાંથી અન્ય મથકોમાં બદલીLCBમાંથી બદલાયેલા કર્મચારીઓ:1.અજિતસિંહ પરમાર – વેરાવળ સીટી પો.સ્ટે.2.નટુભા બસીયા – વેરાવળ સીટી પો.સ્ટે.3.નરવણસિંહ ગોહિલ – વેરાવળ સીટી પો.સ્ટે.4.ગોવિંદ વંશ – વેરાવળ સીટી પો.સ્ટે.5.કમલેશ પીઠીયા – વેરાવળ સીટી પો.સ્ટે.6.નરેન્દ્ર કછોટ – તાલાલા પો.સ્ટે.7.લાલજી બાંભણીયા – તાલાલા પો.સ્ટે.8.લલીત ચુડાસમા – કોડીનાર પો.સ્ટે.9.ગોવિંદ વાળા – નવાબંદર પો.સ્ટે.10.ધર્મેન્દ્ર ગોહીલ – ઉના પો.સ્ટે.11.નારણ ચાવડા – પ્રભાસ પાટણ પો.સ્ટે12.અસ્મિતા ચાવડા – પોલીસ હેડ ક્વાર્ટરSOGમાંથી બદલી1.ઇબ્રાહિમશા બાનવા – નવાબંદર પો.સ્ટે.2.મેરામણ શામળા – વેરાવળ સીટી પો.સ્ટે.3.ગોપાલ મકવાણા – વેરાવળ સીટી પો.સ્ટે.4.મેહુલ પરમાર – પોલીસ હેડ ક્વાર્ટર5.દેવીબેન રામ – પોલીસે હેડ ક્વાર્ટર6.ભૂપતગર મેઘનાથી – પોલીસ હેડ ક્વાર્ટર7.શૈલેષ ડોડીયા – પોલીસ હેડ ક્વાર્ટરLCBમાં નવી તૈનાતી1.અશોક મોરી – વેરાવળ સીટી પો.સ્ટે. → LCB2.સુનિલ સોલંકી – વેરાવળ સીટી પો.સ્ટે. → LCB3.રવિ ગોહિલ – વેરાવળ સીટી પો.સ્ટે. → LCB4.મયુર સોલંકી – વેરાવળ સીટી પો.સ્ટે. → LCB5.મહેશ સોસા – વેરાવળ સીટી પો.સ્ટે. → LCB6.ઈમ્તિયાઝ ઓઠા – કોડીનાર પો.સ્ટે. → LCB7.કરણસિંહ ચૌહાણ – પ્રભાસ પાટણ પો.સ્ટે. → LCB8.હિતેશ વાળા – સાઇબર ક્રાઈમ → LCB

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 9:04 pm

સુરત એરપોર્ટ પર DG યાત્રા સ્ટાફની માસ લીવ:પગાર ન મળતા 35 કર્મચારીઓ હડતાળ પર, પેસેન્જરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે અચાનક એવી સ્થિતિ સર્જાઈ કે જેના કારણે એરપોર્ટની કામગીરી પર ગંભીર અસર પડી હતી. ડીજી યાત્રાની સેવાઓ સંભાળતા કુલ 35 કર્મચારીઓ પગાર ન મળવાના મુદ્દે ઓચિંતા જ માસ લીવ પર ઊતરી ગયા હતા. સ્ટાફની આ અચાનક ગેરહાજરીના કારણે એરપોર્ટ પર હાજર પેસેન્જરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, અને કાઉન્ટરો પર પ્રવેશ અને ચેક-ઇન માટેની લાંબી લાઇનો લાગી ગઈ હતી. કર્મચારીઓને સમયસર પગાર ન આપવો એ નિયમોનું ઉલ્લંઘન છેડીજી યાત્રાના સ્ટાફની ગેરહાજરીના કારણે એરપોર્ટ કામગીરીમાં નોંધપાત્ર વિલંબ થયો હતો. ડીજી યાત્રા (Digi Yatra) એ મુસાફરોની બાયોમેટ્રિક આધારિત સ્વયંસંચાલિત પ્રવેશ પ્રણાલી છે, જેની ગેરહાજરીમાં મેન્યુઅલ ચેકિંગ કરવું પડ્યું, પરિણામે કતારો લાંબી થતી ગઈ. આ ગંભીર પરિસ્થિતિની જાણ થતાં જ સુરત એરપોર્ટના ડાયરેક્ટર દ્વારા તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો હતો. તેમણે ડીજી યાત્રા ઓપરેટરની જવાબદારી સંભાળતી આઉટસોર્સિંગ કંપનીને સખત ભાષામાં નોટિસ પાઠવી હતી. કર્મચારીઓને સમયસર પગાર ન આપવો એ નિયમોનું ઉલ્લંઘન છે. જો આઉટસોર્સિંગ કંપની દ્વારા તાત્કાલિક ધોરણે પગાર ચૂકવવામાં નહીં આવે, તો નિયમો અનુસાર કંપની વિરુદ્ધ સખત કાયદાકીય અને વહીવટી કાર્યવાહી કરવામાં આવશે. કંપની અને કર્મચારીઓ વચ્ચે સકારાત્મક સમાધાન થઈ ગયુંએરપોર્ટ ઓથોરિટીની કડક નોટિસ મળ્યા બાદ આઉટસોર્સિંગ કંપની હરકતમાં આવી હતી. કંપનીના પ્રતિનિધિઓએ તુરંત જ પગાર ચૂકવવાની અને કર્મચારીઓ સાથે સમાધાનની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. એરપોર્ટના અધિકારીઓએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, કંપની અને કર્મચારીઓ વચ્ચે સકારાત્મક સમાધાન થઈ ગયું છે. અધિકારીઓના જણાવયા મુજબ શનિવારથી તમામ ડીજી યાત્રા સ્ટાફ ફરીથી પોતાની ફરજ પર હાજર થઈ જશે. મુસાફરોને હવે પછી કોઈ પણ પ્રકારની તકલીફનો સામનો નહીં કરવો પડે અને એરપોર્ટની કામગીરી રાબેતા મુજબ સુચારુ થઈ જશે. એરપોર્ટ પર આઉટસોર્સિંગ કરાર અને કર્મચારીઓના હક મુદ્દે ગંભીર સવાલો ઊભા થયાઅધિકારીઓએ ઉમેર્યું કે, ઝડપી કાર્યવાહી કરીને પરિસ્થિતિને ટૂંકા ગાળામાં જ કાબૂમાં લઈ લેવામાં આવી હતી અને એરપોર્ટની કામગીરીને વધુ ખોરવાતી અટકાવવામાં આવી હતી. આ ઘટના સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આઉટસોર્સિંગ કરાર અને કર્મચારીઓના હક મુદ્દે ગંભીર સવાલો ઊભા કરે છે, જેના પર એરપોર્ટ ઓથોરિટી દ્વારા કાયમી ઉકેલ લાવવો જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 9:04 pm

નારાયણ સાંઈના સેપરેટ સેલની ખોલીમાંથી મળ્યો મોબાઈલ ફોન:દરવાજા પાછળ લોહચુંબકથી ફોન છૂપાવતો, પોતાના થેલામાં Jio નું સિમકાર્ડ રાખતો; સચિન પોલીસ ગુનો નોંધ્યો

સુરતની લાજપોર જેલ ફરી એકવાર ચર્ચામાં આવી છે, જ્યાં બળાત્કારના ગુનામાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતા વિવાદાસ્પદ ધર્મગુરૂ નારાયણ સાંઈની બેરેકમાંથી એક મોબાઈલ ફોન મળી આવ્યો છે. જેલ તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને સચિન પોલીસ સ્ટેશનમાં નારાયણ સાંઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જેને પગલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. જેલ સ્કવોર્ડ દ્વારા નારાયણ સાંઈની ખોલી નં.1 ચેકિંગતાજેતરમાં જ જેલરના નામે ફોન કરીને કેદીઓના પરિવારજનો પાસેથી પૈસા પડાવનાર એક ઠગ પકડાયા બાદ લાજપોર જેલ પ્રશાસન દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન તા. 27 નવેમ્બરના રોજ ઇન્ચાર્જ જેલર દીપક ભાભોરને બાતમી મળી હતી કે, પાકા કામના કેદી નારાયણ સાંઈ પાસે મોબાઈલ ફોન છે. બાતમીના આધારે જેલની ઝડતી સ્કવોર્ડ નારાયણ સાંઈના સેપરેટ સેલની ખોલી નં. 1માં તપાસ હાથ ધરી હતી. મોબાઈલ ફોન અને Jio કંપનીનું સિમકાર્ડ મળ્યુંતપાસ દરમિયાન જેલના લોખંડના દરવાજા પાછળ લોહચુંબક વડે એક મોબાઈલ ફોન ચોંટાડેલો મળી આવ્યો હતો. એટલું જ નહીં તેની પાસેના થેલામાંથી Jio કંપનીનું એક સીમકાર્ડ પણ મળી આવ્યું હતું. જોકે, નારાયણ સાંઈ ફોન પર વાતચીત કર્યા બાદ ફોનમાંથી બેટરી અને સિમકાર્ડ કાઢી લેતો હતો. સિમકાર્ડ તે પોતાની પાસે રાખતો હતો, જ્યારે બેટરી તે સુરક્ષા માટે સંત્રીરૂમમાં છુપાવી દેતો હતો. ઝડતી દરમિયાન સિપાઈએ સંત્રીરૂમના દરવાજાના અંદરના ભાગે આવેલા નકુચા પાસેથી આ છુપાવેલી બેટરી કબજે કરી હતી. છેલ્લા 11 મહિનામાં 12થી વધુ ફોન મળ્યાલાજપોર જેલને આધુનિક જેલ ગણવામાં આવે છે તેમ છતાં વારંવાર મોબાઇલ ફોન મળી આવવાની ઘટનાઓ જેલ પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કરે છે. જેલરની ફરિયાદમાં જણાવ્યા મુજબ, છેલ્લા 11 મહિનામાં લાજપોર જેલમાંથી 12થી વધુ મોબાઇલ ફોન મળી આવ્યાની પોલીસ ફરિયાદ થઈ છે. દરેક ચેકિંગ દરમિયાન મોબાઇલ ફોન અને સિમ કાર્ડને અલગ-અલગ જગ્યાએ છુપાવેલા મળી આવે છે. સચિન પોલીસ નારાયણ સાંઈ સામે ગુનો નોંધ્યોનાના-મોટા કેદીઓ જ નહીં પરંતુ બળાત્કારના કેસમાં દોષિત અને હાઈ-પ્રોફાઇલ કેદી એવા નારાયણ સાંઇ પાસેથી મોબાઇલ મળવો એ જેલની આંતરિક સુરક્ષામાં રહેલી મોટી ખામી તરફ ઈશારો કરે છે. સચિન પોલીસે ગુનો નોંધીને ફોન જેલમાં કેવી રીતે પહોંચ્યો, તેમાં કોણે મદદ કરી અને ફોનનો ઉપયોગ કયા હેતુસર કરવામાં આવતો હતો, તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 9:00 pm

મહારાષ્ટ્રની ચૂંટણી લડવા ગુજસીટોકના આરોપીની પ્રિન્સિપાલ કોર્ટમાં જામીન અરજી:ચૂંટણી પ્રચાર માટે 6 દિવસના જામીન માંગ્યા, મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી લાજપોર જેલમાં બંધ

સુરતમાં ગુજસીટોક જેવા કડક કાયદા હેઠળ ઝડપાયેલા અને 80 જેટલા કેસમાં સંડોવાયેલા એક બુટલેગરે મહારાષ્ટ્રમાં જિલ્લા સ્તરની ચૂંટણી લડવા માટે સુરતની પ્રિન્સિપાલ કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી છે. મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી આ આરોપી હાલમાં લાજપોર જેલમાં બંધ છે અને તેણે દાવો કર્યો છે કે તેને રાજકીય કિન્નાખોરીના કારણે જેલમાં ધકેલવામાં આવ્યો છે, જેથી તે ચૂંટણી પ્રચારથી વંચિત રહી જાય. આરોપીએ ચૂંટણી પ્રચાર માટે 6 દિવસના જામીન માગ્યાપોલીસે જેની ધરપકડ કરી છે તે આરોપીનું નામ વિશ્વાસ ગડકરી છે. વિશ્વાસ ગડકરીએ મહારાષ્ટ્રની આગામી નવાપુર પરિષદની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે નગર અધ્યક્ષ પદ માટે દાવેદારી કરી છે. તેણે કોર્ટને જણાવ્યું છે કે ચૂંટણી ડિસેમ્બર 2ના રોજ છે અને પરિણામ ડિસેમ્બર 3ના રોજ જાહેર થવાનું છે. આથી, તેને પ્રચાર કરવા અને ચૂંટણી લડવા માટે છ દિવસના વચગાળાના જામીન તાત્કાલિક મંજૂર કરવામાં આવે તેની તેવી માગ છે. તેની આ અરજી પર આવતીકાલે(29 નવેમ્બરે) શનિવારના રોજ કોર્ટમાં સુનાવણી થવાની છે. વિશ્વાસ ગડકરી બુટલેગર પર 80 જેટલા કેસઆરોપી વિશ્વાસ ગડકરી એક બુટલેગર તરીકે ઓળખાય છે, જેની સામે કુલ 80 જેટલા કેસ દાખલ થયેલા છે. પોલીસ રેકોર્ડ મુજબ, આરોપી સામે 19 જેટલાં જુદા-જુદા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, અને તેની સંગઠિત ટોળકી સામે તો 200 જેટલાં ગુનાઓ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. સંગઠિત ગુનાખોરીને રોકવા માટે જ આ ટોળકી વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સાત દિવસના રિમાન્ડ પર છેઆરોપીની ધરપકડ બાદ તેને સાત દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો અને હાલમાં તે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ હેઠળ છે. આ રિમાન્ડ દરમિયાન જ તેણે ચૂંટણી લડવા માટે જામીન અરજી કરી છે. એડવોકેટ ઝફર બેલાવાલાના મતે, ગુજસીટોક એક એવો કડક કાયદો છે જે સંગઠિત ગુનાખોરી અટકાવવા માટે ઉપયોગમાં લેવાય છે, અને આ કાયદા હેઠળ પોલીસને આરોપીના 30 દિવસ સુધીના રિમાન્ડ માગવાનો વિશેષ અધિકાર મળે છે. વિશ્વાસ ગડકરીએ પોતાની ધરપકડને રાજનીતિથી પ્રેરિત ગણાવીગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી વિશ્વાસ ગડકરીએ પોતાની ધરપકડને રાજનીતિથી પ્રેરિત ગણાવી છે. તેણે કોર્ટ સમક્ષ રજૂઆત કરી છે કે તેને ઇલેક્શન લડવાથી રોકવાના ઈરાદાથી જ આ કાર્યવાહી કરવામાં આવી છે. જોકે, પોલીસ તેની આ રજૂઆતને નકારી કાઢે છે અને કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે જ ગુજસીટોક હેઠળ તેની ધરપકડ થઈ હોવાનું જણાવી રહી છે. તેની આ અરજી પર આવતીકાલે(29 નવેમ્બરે) શનિવારના રોજ કોર્ટમાં સુનાવણી થવાની છે. હવે સુરતની પ્રિન્સિપાલ કોર્ટ આ ગંભીર ગુનાના આરોપીને ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન આપે છે કે નહીં, તે જોવું મહત્વનું રહેશે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 8:51 pm

પોલીસની “તેરા તુજકો અર્પણ” ઝુંબેશ:31.96 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત, સાયબર ફ્રોડના 40 પીડિતોને ₹10.19 લાખ રિફંડ; 60 અરજદારોને ન્યાય

વડોદરા શહેર પોલીસના “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ઝોન-1ના 7 પોલીસ સ્ટેશનો દ્વારા આજે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે 31.96 લાખની કિંમતનો કિંમતી મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો. જેને પગલે અરજદારોએ પોલીસનો આભાર માન્યો હતો અને પોલીસની કામગીરીની પ્રશંસા પણ કરી હતી. સાયબર છેતરપિંડીના ગુનાઓમાંથી પાછા મેળવેલ મુદ્દામાલ પરત કરવામાં આવ્યોવડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર તેમજ સંયુક્ત પોલીસ કમિશનર ડૉ. લીના પાટીલની સૂચના અનુસાર મિલકત સંબંધિત ગુનાઓનું ઝડપી ઉકેલ અને મુદ્દામાલ પરત કરવા માટે ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઇવ હેઠળ DCP ઝોન-1 ડૉ. જગદીશ ચાવડાની આગેવાનીમાં આજના કાર્યક્રમમાં ઝોન-1 હેઠળના સયાજીગંજ, ફતેગંજ, છાણી, નંદેસરી, ગોરવા, લક્ષ્મીપુરા અને જવાહરનગર પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ વિવિધ ચોરી તેમજ સાયબર છેતરપિંડીના ગુનાઓમાંથી પાછા મેળવેલ મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે 60 જેટલા અરજદારો હાજર રહ્યા હતા. પરત કરાયેલ મુદ્દામાલની વિગત : સાયબર ફ્રોડના 40 અરજદારોને રિફંડ તરીકે ₹10,19,052, ચોરીમાંથી પરત મળેલ 4 વાહન, 13 મોબાઇલ ફોન - સોના-ચાંદીના દાગીના (2 કેસ) ₹87,600- અન્ય વિવિધ વસ્તુઓ (37) 6,61,147- રોકડ રોકડા 9,99,000 સહિતનો કુલ મુદ્દામાલ: 31,96,3954

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 8:50 pm

નવસારીમાં 'ફ્યુઝન નવરાત્રી'ના આયોજકની ધરપકડ:સુરતના વિદ્યાર્થી સાથે ₹5.07 લાખની છેતરપિંડી અને ધમકી આપવાના આરોપસર કાર્યવાહી કરાઈ

નવસારીમાં 'ફ્યુઝન નવરાત્રી'ના આયોજક શ્રેયલ શાહની સુરતના એક એન્જિનિયરિંગ વિદ્યાર્થી સાથે ₹5.07 લાખની છેતરપિંડી અને ધમકી આપવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. વિદ્યાર્થીએ ઇવેન્ટ મેનેજમેન્ટના કામ માટે કરાર કર્યો હતો, પરંતુ તેને ચૂકવણી કરવામાં આવી ન હતી. પૈસાની ઉઘરાણી કરતાં આયોજકોએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, ત્યારબાદ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. સુરતના વરીયાવ વિસ્તારમાં રહેતા 21 વર્ષીય વિદ્યાર્થી દક્ષ નરેશભાઇ કાકલોતર ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં 7મા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. તે પરિવારને આર્થિક મદદ કરવા માટે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ પણ કરે છે. વિદ્યાર્થીએ નવસારીના 'ફ્યુઝન નવરાત્રી'ના આયોજકો સામે ₹5.07 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ મુજબ, વિદ્યાર્થી વર્ષ 2025ની નવરાત્રી માટે સોશિયલ મીડિયા પર નવસારીમાં યોજાનાર 'ફ્યુઝન નવરાત્રી'ની જાહેરાત જોઈ હતી. આ જાહેરાત મૂકનાર શ્રેયલ વિજયકુમાર શાહનો સંપર્ક કરતાં શ્રેયલે તેને ઇવેન્ટ મેનેજમેન્ટના કામ માટે નવસારી બોલાવ્યો હતો. શ્રેયલ શાહ અને તેના પાર્ટનર વિરાજ રમેશભાઇ ગાયકવાડએ નવસારીના ઓમ પાર્ટી પ્લોટ ખાતે નવરાત્રીનું આયોજન કર્યું હતું. દક્ષ અને આયોજકો વચ્ચે પ્રોડક્શન, હેલ્પ ડેસ્ક, સિક્યુરિટી અને મેનેજમેન્ટ માટે કુલ ₹5,66,400 નક્કી કરવામાં આવ્યા હતા. આ અંગે 20 સપ્ટેમ્બર, 2025ના રોજ નોટરી રૂબરૂ લેખિત કરાર પણ કરવામાં આવ્યો હતો. દક્ષે પોતાની 34 માણસોની ટીમ સાથે કામ શરૂ કર્યું હતું, પરંતુ કરાર મુજબ ડિપોઝિટની રકમ પણ સમયસર ચૂકવવામાં આવી ન હતી. જ્યારે દક્ષે પૈસાની ઉઘરાણી કરી, ત્યારે આયોજકોએ તેને અપશબ્દો બોલી અને હાથ-પગ તોડી નાખવાની ધમકી આપી હતી. આ કેસમાં અન્ય કેટલાક આયોજકો પણ વોન્ટેડ હોવાનું જાણવા મળ્યું છે. નવરાત્રી પૂર્ણ થયા બાદ દક્ષે હિસાબ માંગતા આયોજકોએ ગલ્લા-તલ્લા શરૂ કર્યા હતા. કરાર મુજબના રૂ. 5,66,400 અને વધારાના બે માણસોના રૂ. 21,000 મળી કુલ રૂ. 5,87,400 લેવાના નીકળતા હતા. જેમાંથી આયોજકોએ માત્ર 80,000 રૂપિયા જ ચૂકવ્યા હતા. બાકી નીકળતા રૂ. 5,07,400ની ઉઘરાણી કરતા શ્રેયલ શાહે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. જ્યારે દક્ષ તેના ઘરે ગયો ત્યારે શ્રેયલે ગાળાગાળી કરી હતી અને કહ્યું હતું કે, તું તારી બાકી રકમ ભૂલી જા, બીજીવાર પૈસા માંગવા આવ્યો તો તારા હાથ-પગ તોડી નાખીશ. બંને ભાગીદારો સામે ગુનો દાખલઆખરે પોતાની સાથે વિશ્વાસઘાત થતા દક્ષ કાકલોતરે નવસારી પોલીસમાં આયોજક (1) શ્રેયલ ઉર્ફે શ્રેયલ વિજયકુમાર શાહ અને (2) વિરાજ રમેશભાઇ ગાયકવાડ વિરુદ્ધ છેતરપિંડી અને ધમકી આપવા બદલ ફરિયાદ નોંધાવી હતી. જે પૈકી વિરાજ રમેશભાઈ ગાયકવાડ વોન્ટેડ છે જેની શોધખોળ શરૂ છે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 8:44 pm

વર્ક ફ્રોમ હોમની લાલચમાં ગુજરાત કોલેજના વિદ્યાર્થીએ 7 લાખ ગુમાવ્યા:હોટલ રિવ્યૂ ટાસ્કના નામે વોટ્સએપ-ટેલિગ્રામ પર છેતરપિંડી, 'વધુ નફો આપીશું' કહી વિડ્રોઅલ ચાર્જિસના નામે લૂંટ્યો

નાના ચિલોડા વિસ્તારમાં રહેતો 19 વર્ષીય યુવક છેતરપિંડીનો ભોગ બન્યો છે. ગુજરાત કોલેજમાં બી.કોમ.માં અભ્યાસ કરતા યુવકને વૉટ્સએપમાં વર્કફ્રોમ હોમ કરવા માટે મેસેજ કરવામાં આવ્યો હતો. મેસેજ કરનારે HR ની ઓળખ આપી હોટલ રિવ્યૂ માટેનો રાસ્ક આપ્યો હતો. ટેલીગ્રામ ગ્રુપમાં એડ કરી હોટલ રિવ્યૂ માટેનો ટાસ્ક આપવામાં આવતો હતો. જે બાદ યુવક પાસેથી નફો કરાવવાના બહાને લાલચ આપી 7.8 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા છે. જેને લઈને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. વ્હોટસએપ પર વર્કફ્રોમ હોમ માટેનો મેસેજ આવ્યો હતોગુજરાત કોલેજમાં બી.કોમ. માં અભ્યાસ કરતા 19 વર્ષીય યુવકને વ્હોટસએપ પર મેસેજ કરીને વર્કફ્રોમ હોમ કરવા માટેનો મેસેજ કરવામાં આવ્યો હતો. મેસેજ કરનારે પોતાની ઓળખ HR તરીકે આપી હતી. જે બાદ ગૂગલમાં હોટલ રિવ્યૂ ટાસ્ક આપવા માટે એક લિંક મોકલવામાં આવી હતી. જેમાં હોટેલના રિવ્યૂ આપવામાં આવે ટાસ્ક આપવામાં આવ્યો હતો. તેમજ ટાસ્કના પૈસા જમા કરાવવા માટે ફરિયાદીની એકાઉન્ટની વિગતો પણ લેવામાં આવી હતી. જે બાદ ફરિયાદીને ટેલીગ્રામ ગ્રુપમાં એડ કરવામાં આવ્યો હતો. હોટેલના રિવ્યૂ ટાસ્ક આપી પૈસાની લાલચ જગાડીટેલીગ્રામ આઇડીથી મેસેજ આવતા જેમાં રિવ્યૂ ટાસ્ક માટે એકાઉન્ટ બનાવવા એક લિંક પણ મોકલવામાં આવી હતી. જેમાં હોટેલના રિવ્યૂ ત્રણ ટાસ્ક પૂરા કરવા માટે જણાવ્યું હતું. જે બાદ રિવ્યૂ કર્યા બાદ ફરિયાદીના એકાઉન્ટમાં 150 રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રીપેડ ટાસ્ક હોવાનું કહી એક હજાર રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. ટાસ્ક પૂરા કરતા જ યુવકના ખાતામાં 1420 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જેથી ટાસ્કના પૈસા પરત આવતા હોવાથી યુવકને લાલચ જાગી હતી. પ્રોફિટ સાથેના પૈસા વિડ્રો કરવા ચાર્જિસના નામે છેતર્યોજે બાદ વધુ નફો કમાવવા માટે યુવકે તેના પિતા અને માતાના એકાઉન્ટમાંથી ટેલીગ્રામ પર આપેલા જુદા જુદા એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવ્યા હતા. યુવકને લોભામણી લાલચ આપી 7.8 લાખ રૂપિયા ભરાવડાવવામાં આવ્યા હતા. પ્રોફિટ સાથેના પૈસા વિડ્રો કરવા અલગ અલગ ચાર્જ ભરવાનું કહી યુવક સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. જો કે ફરિયાદ નોંધાયા સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 8:43 pm

વસ્ત્રાપુર તળાવમાં 1 ડિસેમ્બર, 2026થી એન્ટ્રી ફી લાગૂ:સવારે 6થી 10 ફ્રી, 10 વાગ્યા બાદ 10 રુપિયા ચાર્જ ચૂકવવો પડશે, ફ્લાવર શોમાં કોમનવેલ્થ ગેમ્સનું સ્કલપચર મૂકાશે

શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 10 કરોડના ખર્ચે વસ્ત્રાપુર તળાવને ડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યું છે ત્યારે વસ્ત્રાપુર તળાવમાં 10 રૂપિયા એન્ટ્રી ફી રાખવામાં આવી છે. સવારે 6થી 10 સુધી વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. સવારે 10થી બપોરે 12 અને બપોરે 2થી રાત્રે 10 સુધી પુખ્ત વયના લોકો માટે રૂ. 10 ટિકિટ રહેશે. 5 વર્ષ સુધીના બાળકો અને દિવ્યાંગ માટે માટે વિના મૂલ્યે પ્રવેશ રહેશે. 5 વર્ષથી 12 વર્ષ સુધીના બાળકો માટે 5 રૂપિયા એન્ટ્રી ફી રહેશે, જ્યારે 65 વર્ષથી ઉપરનાં નાગરિકો સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે વિના મૂલ્યે પ્રવેશ રહેશે. જોકે, ઓળખપત્ર બતાવવું પડશે. પ્રવાસના વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીદીઠ રુપિયો ચાર્જરીક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, વસ્ત્રાપુર તળાવમાં હવે એન્ટ્રી ફી રાખવામાં આવી છે. જે એન્ટ્રી ફી 1 ડિસેમ્બર 2026થી લાગુ પડશે. ફકત શૈક્ષણિક પ્રવાસના વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીદીઠ 1 રૂપિયો ચૂકવીને જઈ શકાશે જ્યારે માસિક પાસના 300 રહેશે. વાર્ષિક પાસના નાણાં જમા કરાવે તો એક માસનું કન્સેશન આપવાનું એટલકે 11 માસના નાણાં ભરવાનાં રહેશે. સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી લઈને આ એન્ટ્રી ફી લેવામાં આવશેઆ અંગે ડિજિટલ પેમેન્ટ માટે Q. R. Code ની તથા કેશથી ટિકીટ મેળવવા માટે જરૂરિયાત મુજબ ટિકીટ બારી ઉપર ટિકીટની આવક-જાવક તેમજ તેને આનુષાંગિક તમામ વહીવટી કામગીરી બગીચા ખાતા દ્વારા હાલમાં ગોટીલા ગાર્ડન અને ઓક્સિજન પાર્ક સિંધુભવન ખાતે ટિકીટીંગ કરતી એજન્સી દ્વારા નક્કી થયેલ ભાવે અને શરતોથી મેનપાવરની વ્યવસ્થા કરવાની તથા આ દરમિયાન બગીચા ખાતા દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવાનું તથા ઓનલાઇન ટિકિટીંગ માટે જરૂરી વ્યવસ્થા ઇ-ગવર્નન્સ વિભાગ દ્વારા કરવામાં આવશે અને ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી લઈને આ એન્ટ્રી ફી લેવામાં આવશે. આ વર્ષે ફ્લાવર શોમાં કોમનવેલ્થની રમતોનું સ્કલ્પચર મૂકાશેઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે જાન્યુઆરી મહિનામાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં અલગ-અલગ થીમ ઉપર ફ્લાવરના સ્કલ્પચર ઉભા કરવામાં આવતા હોય છે. કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાવાની હોવાને પગલે ચાલુ વર્ષે યોજાનારા ફ્લાવર શોમાં કોમનવેલ્થની રમતોનું સ્કલ્પચર મૂકવામાં આવશે. કોમનવેલ્થની યજમાનની અમદાવાદ કરવાનું છે. જેથી સ્કલ્પચર મૂકવા માટેની સૂચના આજે મળેલી રીક્રિએશન કમિટીમાં આપવામાં આવી હતી. કાંકરિયા કાર્નિવલમાં પણ સ્વચ્છતાને લઈને 2000 જેટલા સફાઈકર્મીઓ મૂકીને સ્વચ્છતાનો સંદેશો આપવામાં આવશે. સ્વિમિંગ પુલ કોચ માટે પ્રો સ્પોર્ટ્સ એન્ટરપ્રાઇઝને કોન્ટ્રાક્ટમ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્વીમીંગ પુલમાં જરૂરીયાત પ્રમાણે કોચ પુરા પાડવા માટે પ્રો સ્પોર્ટસ એન્ટરપ્રાઇઝને આજે મળેલી રીક્રીએશનલ કમિટીમાં કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા મંગાવવામાં આવેલા ટેન્ડરમાં પ્રો સ્પોર્ટસ એન્ટરપ્રાઇઝ દ્વારા રૂ. 29,476નો ભાવ ભરવામાં આવ્યો છે. જોકે, તેના દ્વારા કરાયેલી શરત પ્રમાણે તે કોચને રૂ. 18 હજાર આપશે. AMCના સ્વીમીંગ પુલમાં પોતાના સ્ટાફ કે પછી કોન્ટ્રાક્ટ પર લીધેલા કર્મચારી દ્વારા કામ કરાવવામાં આ‌વે છે. 5 બાથરુમ PPP મોડલ પર આપવામાં આ‌વ્યા છે. કોચને ₹18 હજાર, એજન્સીને ₹11,476 મળશેમ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા 36 પુરુષ કોચ અને 38 મહિલા કોચને કોન્ટ્રાક્ટથી પુરા પાડવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં સ્વીમીંગ કોચ ઉપરાંત વ્યાયામ વિદ્યાલય ખાતે પણ જુદી-જુદી રમતના કોચ પણ મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવશે. નોંધનીય છે કે, આ ટેન્ડરર દ્વારા ભરવામાં આવેલા ભાવ જોતા 29476 જેટલી મોટી રકમ પ્રતિ કોચ પ્રતિ માસ મ્યુનિ. ચુકવશે. તેની સામે આ એજન્સીને રૂ. 11476 જેટલી મોટી રકમ મળશે. માત્ર આ કોચ આપવા સહિતની કેટલીક કામગીરી માટે આ રકમ તેને ચૂકવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 8:36 pm

સાયણ- ઉમરા બ્રિજ પર ગમખ્વાર અકસ્માત:ડિવાઈડર સાથે સ્પોર્ટ્સ બાઈક ભટકાતા યુવક ઉછળીને બ્રિજ નીચે પટકાતા કમકમાટીભર્યું મોત, બાઈક ચાલક મિત્રને ગંભીર ઈજાઓ પહોંચી

સુરતમાં સાયણના ઉમરા ગામ ખાતે રહેતા બે મિત્રો કેટીએસમ સ્પોર્ટ્સ બાઈક પર પરત ઘરે જઈ રહયા હતા ત્યારે સાયણ- ઉમરા બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની બાઈક ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાતા બાઈક ઉપર પાછળ બેસેલો યુવક ઉછળીને બ્રિજ નીચે પટકાયો હતો.જેને પગલે તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.જયારે બાઈક ચાલક મિત્રને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બીજી તરફ યુવકના મોતને પગલે તેના પરિવારમાં શોક ફરી વળ્યું હતું. ઉત્રાણ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉમરા ગામ ખાતે આવેલા હળપતિવાસમાં રહેતા બે મિત્રો કિશનકુમાર ભીખાભાઈ રાઠોડ (ઉ.વ.31 ) અને સાહિલ ભીખાભાઈ રાઠોડ (ઉ.વ. 10) નાઓ ગત સાંજે કેટીએમ સ્પોર્ટ્સ બાઈક પર સાયણ બજાર ખાતે ગયા હતા અને સાયણથી પરત ઉમરાગામ ઘર તરફ આવતા હતા ત્યારે સાહિલ રાઠોડ નાઓ બાઈક ચલાવતો હતો.જયારે મિત્ર કિશનકુમાર તેની પાછળ બેસેલ હતો. ઉમરા-સાયણ રેલ્વે ઓવરબ્રીજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ડિવાઈડર સાથે તેમની બાઈક અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને બન્ને ગંભીર ઈજાઓ પહોંચી જે પૈકી કિશન કુમારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.જયારે સાહિલને ડાબા હાથના કોણીના ભાગે, મોઢા સહિત શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. મૃતકના મોટાભાઈ પંકજભાઈ રાઠોડએ કિશનકુમારના જણાવ્યું હતું કે કિશનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તે સાયણમાં એક કાપડ મિલમાં કામ કરીને પરિવારનું ગુજરના ચલાવતો હતો. તે મિલમાં પગારનો હિસાબ લેવા માટે ગયો હતો અને ત્યાંથી જ તેને તેના મિત્ર સાહિલને ફોન કરીને લેવા માટે બોલાવ્યો હતો.સાહિલ તેની બાઈક લઈને કિશનને લેવા માટે ગયો હતો અને ત્યાંથી બન્ને પરત ઘરે આવતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. બનાવ અંગે ઉત્રાણ પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 8:25 pm

બોટાદમાં જનસંપર્ક સભા અને લોન મેળાનું આયોજન:ગેરકાયદેસર નાણા ધીરનાર પ્રવૃત્તિ સામે પોલીસની જનજાગૃતિ, 200થી વધુ લોકો જોડાયા

બોટાદ ટાઉન પોલીસે ગેરકાયદેસર નાણા ધીરનાર પ્રવૃત્તિઓ રોકવા અને નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે એક જનસંપર્ક સભા તથા લોન મેળાનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ બોટાદમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં શહેરની આશરે 11 રાષ્ટ્રીયકૃત અને સહકારી બેંકો તેમજ ક્રેડિટ સોસાયટીઓએ સક્રિય ભાગીદારી નોંધાવી હતી. બોટાદ જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) અને નાયબ પોલીસ અધિક્ષક (DYSP) સહિત પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નાગરિકોને ગેરકાયદેસર નાણા લેતી-દેતીની પ્રવૃત્તિઓથી થતા જોખમો વિશે માર્ગદર્શન આપ્યું હતું. અધિકારીઓએ કાયદેસર બેંકિંગ સુવિધાઓનો લાભ લેવા અને છેતરપિંડીથી બચવા માટે જરૂરી સાવચેતીઓ વિશે પણ માહિતી આપી હતી. લોન મેળામાં બેંક પ્રતિનિધિઓએ વિવિધ યોજનાઓ અને સસ્તા વ્યાજદરમાં ઉપલબ્ધ લોન અંગેની વિગતો રજૂ કરી હતી. નાગરિકોએ ઉત્સાહભેર પ્રતિસાદ આપ્યો હતો, જેમાં 200થી વધુ લોકોએ આ કેમ્પમાં હાજરી આપી હતી. પોલીસ તંત્ર અને બેંકિંગ ક્ષેત્રના આ સંયુક્ત પ્રયાસોથી બોટાદમાં નાણાકીય સુરક્ષા અંગે જાગૃતિ વધારવાનો પ્રયાસ સફળ રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 8:19 pm

પાદરા પાસે ફાર્મ હાઉસમાં લૂંટ કેસમાં 4 આરોપી ઝડપાયા:હથિયારો સાથે મોડી રાત્રે લુંટારુઓએ 4 લોકોને બંધક બનાવીને 83 હજારની મત્તાની લૂંટ ચલાવી હતી

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના પાટોદ ગામની સીમ વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસમાં બુકાનીધારી લુંટારુઓએ દંપતી સહિત તેમના માતા-પિતાના બાનમાં લીધું હતું. હથિયારો લઇને ધસી આવેલા લુંટારુઓ દ્વારા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી રૂ. 83 હજારની મતાની લુંટ ચલાવી હતી, ત્યારે આ લુંટારુઓને પકડવા માટે પાદરા પોલીસ સહિતના LCBની ટીમ દ્વારા શોધખોળ કરાઇ રહી હતી, ત્યારે આ કેસમાં ગેંગ પૈકીના 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ફાર્મ હાઉસમાં પાંચથી સાત જેટલા લુંટારાઓ હથિયારો સાથે ઘૂસ્યાવડોદરા જિલ્લાના પાદરા તાલુકાના પાટોદ ગામ પાસે આવેલા ફાર્મ હાઉસ રખેડવાળી કરવા માટે મગનભાઇ પ્રવિણભાઇ ચૌહાણ તેમની પત્ની રહેતા હતા. દરમિયાન યુવકના માતા પિતા તેમને મળવા 22 નવેમ્બરના રોજ આવ્યાં હતા. ત્યારે દંપતી સહિત તેમના માતા પિતા રાત્રીના સમયે જમીન ઘરમાં ઉંઘી ગયા હતા. મોડી રાત્રીના સમયે ફાર્મ હાઉસની કમ્પાઉન્ડ વોલ કુદીને પાંચથી સાત જેટલા લુંટારાઓ હથિયારો સાથે ધસી આવ્યા હતા. ફિલ્મી ઢબે લુંટ ચલાવી લુંટારુઓ ફરારહિન્દી ભાષા બોલતા આ લુંટારુઓએ મગનભાઇ ચૌહાણ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ તેમની પાસે સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી રૂ. 83 હજારના મતાની ફિલ્મી ઢબે લુંટ ચલાવી લુંટારુઓ ફરાર થઇ ગયો હતો. આ ઘટનાના પગલે પાદરા પોલીસ સહિત એલસીબી ટીમો એક્ટિવ થઇ ગઇ હતી અને ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યાં હતા. આ મામલે પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઝડપાયેલા આરોપીના નામ પોલીસે 4 લૂંટારૂઓને ઝડપ્યાપોલીસની વિવિધ ટીમો આ લુંટરુઓને જેર કરવા કામે લાગી હતી અને સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ તેમજ મોબાઇલ લોકેશન ટ્રેસિંગ ટેકનોલોજી દ્વારા દાહોદ અને મધ્ય પ્રદેશના 4 લૂંટારૂઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં બે આરોપી વડોદરાના સિટી વિસ્તારમાંથી તથા અન્યે બેને દાહોદમાંથી દબોચી લેવાયા છે. જ્યારે એક આરોપી પણ જલ્દી જ પકડાઈ જશે, તેમ જાણવા મળ્યું છે. પોલીસે આરોપોની ધરપકડ કરીને તેમની વધુ પૂછપરછ કરવા માટે રિમાન્ડ મેળવવાની પણ તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 8:18 pm

ગાંધીનગરવાસીઓને વીકએન્ડમાં 'જલસો' પડી જશે:શહેરના આઇકોનિક સેન્ટ્રલ વિસ્ટા ખાતે આવતીકાલે 'જલસા સ્ટ્રીટ'માં ફ્રી એન્ટ્રી; લાઈવ મ્યુઝિક સહિત વિવિધ ગેમ્સનું આયોજન

ગાંધીનગરના નાગરિકોનો વીકએન્ડ યાદગાર બનાવવા માટે ગાંધીનગર મહાનગરપાલિકાએ આવતીકાલે શનિવારે 'જલસા સ્ટ્રીટ' કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ 'ફ્રી એન્ટ્રી' કાર્યક્રમ શહેરના આઇકોનિક સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે સાંજે 7 કલાકે શરૂ થશે, જેમાં દરેક વયજૂથના લોકો માટે મનોરંજનનું આયોજન કરવામાં આવ્યું છે. લાઈવ મ્યુઝિક સહિત વિવિધ ગેમ્સનું આયોજનગાંધીનગર મહાનગરપાલિકાએ આવતીકાલે શનિવારે 'જલસા સ્ટ્રીટ' કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ ભવ્ય આયોજનમાં સંગીતપ્રેમીઓ માટે જાણીતા 'રામસખા મંડળ' દ્વારા લાઈવ મ્યુઝિક પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે. જ્યારે સ્વાસ્થ્યને મહત્વ આપતા નાગરિકો માટે એનર્જેટિક ઝુમ્બા અને પરંપરાગત સંસ્કૃતિને માણવા માટે ગરબાની રમઝટ રહેશે. ઉપરાંત યુવાવર્ગ માટે ખાસ ડીજે અને વિવિધ મજેદાર ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. જનતાને વીકએન્ડના 'જલસા સ્ટ્રીટ'નો લહાવો લેવા જાહેર આમંત્રણમહાનગરપાલિકા દ્વારા મનોરંજનની સાથે સામાજિક જવાબદારીના ભાગરૂપે સ્થળ પર એક રક્તદાન શિબિરનું પણ વિશેષ આયોજન કરાયું છે. ગાંધીનગર મહાનગરપાલિકાએ શહેરના તમામ નાગરિકોને પોતાના પરિવાર તથા મિત્રો સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ વીકએન્ડના 'જલસા સ્ટ્રીટ' નો લહાવો લેવા જાહેર આમંત્રણ પાઠવ્યું છે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 8:04 pm

ચિંતન શિબિરમાં હર્ષ સંઘવીએ બનાવી વાંસની નાની ટોપલી:ડેપ્યુટી CMએ વારલી પેઇન્ટિંગ પર હાથ અજમાવ્યો, નેતાઓ-અધિકારીઓ રિલેક્સેશન મૂળમાં જોવા મળ્યા

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિરનો આજે બીજો દિવસ છે. આજે સવારે સામૂહિક યોગાભ્યાસથી ચિંતન શિબિરની શરૂઆત થઈ હતી. આ દરમિયાન નેતાઓ-અધિકારીઓ હળવાશની પળો માણતા પણ જોવા મળ્યા હતા. હર્ષ સંઘવીએ વારલી પેઇન્ટિંગ પર હાથ અજમાવ્યો હતો. તેમજ વાંસમાંથી બનતી વસ્તુઓની કલાનું માર્ગદર્શન મેળવ્યું હતું. આજે રાજ્યના વિકાસ માટેના રોડમેપ પર વિચાર વિમર્શ કરાયો12મી ચિંતન શિબિરના આજે બીજો દિવસે રાજ્યના વિકાસ માટેના રોડમેપ પર મહત્વપૂર્ણ વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. તેમજ શિબિરમાં હળવાશનો માહોલ પણ જોવા મળ્યો હતો. સમય મળતા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. હર્ષ સંઘવીએ વારલી પેઇન્ટિંગ પર હાથ અજમાવ્યોનાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વારલી પેઇન્ટિંગ પર હાથ અજમાવ્યો હતો. જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ દરમિયાન તેમની પાસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા હતા. CMને જોતા જ હર્ષ સંઘવીએ કહ્યું કે, થોડી વાર જરા આનંદ કરીએ. જે બાદ CM સહિત ત્યા હાજર તમામ લોકો હસતા લાગ્યા હતા. નાયબ મુખ્યમંત્રી વાંસનો નાનો ટોપલો બનાવતા જોવા મળ્યાંહર્ષ સંઘવીએ વાંસમાંથી બનતી વિવિધ વસ્તુઓનું માર્ગદર્શન મેળવ્યું હતું. તેમજ હર્ષ સંઘવી વાંસનો નાનો ટોપલો બનાવતા પણ જોવા મળ્યાં હતા. આ ચિંતન શિબિરમાં રાજ્યના વિકાસ માટેની વ્યૂહરચનાઓ પર ચર્ચા સાથે મંત્રીઓ અને અધિકારીઓ હળવાશની પળો માણતા જોવા મળ્યા હતા. આનાથી શિબિરનું વાતાવરણ વધુ સર્જનાત્મક અને સકારાત્મક બન્યું હતું. બીજા દિવસની શરૂઆત યોગાભ્યાસથી થઈ12મી 'ચિંતન શિબિર-2025'ના બીજા દિવસની શરૂઆત યોગાભ્યાસથી થઈ હતી. આ યોગસત્રમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓએ સક્રિય ભાગ લીધો હતો. શ્રીમદ્દ રાજચંદ્રજીની વિશાળ પ્રતિમાના સાન્નિધ્યમાં સામૂહિક યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ મનની એકાગ્રતા, શાંતિ, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને આંતરિક શક્તિમાં વૃદ્ધિ માટે એડવાન્સ મેડિટેશન યોગના વિવિધ આસનો કર્યા હતા. 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાનપદ ભારતને મળવાની ઉત્સાહભેર ઉજવણીરાજ્ય સરકારની 12મી ચિંતન શિબિરમાં 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાનપદ ભારતને મળવાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ક્ષણને ઐતિહાસિક ગણાવી હતી. ગઈકાલે ’સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ની થીમ સાથે 12મી ચિંતન શિબિરની શરૂઆત થઈ હતી. જેમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને 241 ઉચ્ચ સનદી અધિકારીઓ જોડાયા છે. સમાપન સમારોહ અને સન્માનશિબિરના અંતિમ દિવસે, એટલે કે 29 નવેમ્બરે સમાપન સમારોહમાં વર્ષ 2024-25ના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને “કર્મયોગી પુરસ્કાર” એનાયત કરવામાં આવશે. આ પુરસ્કાર ઉત્તમ વહીવટી કામગીરી અને નવીન પ્રયોગો માટે આપવામાં આવે છે. ચિંતન શિબિરનો હેતુવર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલી ચિંતન શિબિરની પરંપરાનો હેતુ રાજ્ય વહીવટને વધુ નાગરિક–કેન્દ્રિત, કાર્યક્ષમ અને પારદર્શક બનાવવાનો રહ્યો છે. તેમની વિચારસરણીને આગળ ધપાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં 12મી ચિંતન શિબિર પ્રશાસનમાં આધુનિકતા, ટેકનોલોજીનો સદુપયોગ અને સંવેદનશીલતાનો સંગમ લાવવાનો પ્રયાસ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આ પરંપરાને આગળ ધપાવતા પ્રશાસનિક સમયાનુરૂપ ટેકનોલોજી અને પારદર્શકતા સાથે સંવેદનશીલતાની નવી દિશા આપવા આ વર્ષે ’સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ની થીમ સાથે ચિંતન શિબિરની 12મી કડીનું આયોજન કર્યું છે. આ પણ વાંચો- ધરમપુરમાં ’સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ની થીમ સાથે 12મી ચિંતન શિબિર

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 8:04 pm

સરસપુરમાં પરિણીતાએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો:મેઘાણીનગરમાં બાઈકની અડફેટે વૃદ્ધનું મોત, અન્ય એક અકસ્માતના બનાવમાં યુવકનો જીવ ગયો

અમદાવાદના સરસપુરમાં પતિ સહિત સાસરિયાના ત્રાસથી કંટાળીને પરિણીતાએ ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તથા બીજા બનાવમાં મેઘાણીનગરમાં ચાલતા જતા વૃદ્ધને બાઇકચાલકે અડફેટે લેતા મોત નીપજ્યું હતું.અન્ય એક બનાવમાં બાપુનગરમાં બે ટુ-વ્હીલર વચ્ચે અકસ્માત થયો હતો તેમાં યુવકનો જીવ ગયો છે. દહેજ બાબતે ઝઘડો કરીને માર માર્યોપરિણીતાએ પુત્રીને જન્મ આપતા પુત્રની આશા રાખીને બેસેલ સાસરિયાઓએ ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો. પતિ સહિત સાસરિયાઓએ પરિણીતાને દહેજ બાબતે પણ ઝઘડો કરીને માર માર્યો હતો. જેથી પરિણીતાએ પતિ સહિત સાસરિયા સામે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાસરિયાઓનો પરિણીતાને મેણા-ટોણા મારીને ત્રાસમળતી માહિતી અનુસાર, સરસપુરમાં 31 વર્ષીય જાગૃતિબેન પરમારના લગ્ન નવ વર્ષ પહેલા નીતીનકુમાર પરમાર સાથે થયા હતા. લગ્ન બાદ તે સંયુક્ત પરિવારમાં રહેવા ગઇ હતી. બાદમાં પરિણીતાએ બે પુત્રીને જન્મ આપતા પુત્રની આશા રાખીને સાસરિયાઓએ પરિણીતાને મેણા-ટોણા મારીને ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. સાસુ અવારનવાર દહેજ બાબતે ઝઘડો કરીને પિયરમાંથી રૂપિયા લઇ આવવા દબાણ કરતા હતાં. સાસુ અને સસરા પરિણીતાના પતિને ચઢામણી કરીને માર ખવડાવતા હતાં. પુત્રી બિમાર પડતા પતિને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાનું કહેતા ના પાડી હતી. પરણિતાએ ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યોપત્નીએ પતિને પિયરમાં મૂકવા આવાનું કહેતા પતિ સહિત સાસરિયાઓએ તેને માર માર્યો હતો. જેથી પરિણીતાને મનમાં લાગી આવતા તેને ગત 22 નવેમ્બરે ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાદમાં પરિણીતાને પરિવારજનો સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા. આ અંગે પરિણીતાએ પતિ, સાસુ ગીતાબેન અને સસરા વિજયભાઇ સામે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મેઘાણીનગરમાં ચાલતા જતા વૃદ્ધને બાઇકચાલકે અડફેટે લેતાં મોતમેઘાણીનગર વિસ્તારમાં રહેતા 65 વર્ષીય ભાઇલાલભાઇ રાજપૂત 27 નવેમ્બરે બપોરના સમયે તેઓ કામ અર્થે ચાલતા ચાલતા મેઘાણીનગર લીમડા બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતા હતા. ત્યારે પુરઝડપે આવી રહેલ બાઇકચાલકે ભાઇલાલભાઇને અડફેટે લેતા તેમને ગંભીર ઇજાઓ પહોચી હતી. ત્યારે બાઇક ચાલક નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત ભાઇલાલભાઇને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યુ હતુ. આ અંગે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યા બાઇકચાલક સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે. સગીર બાઈકચાલકના માતા સામે ફરિયાદ નોંધાઈશહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવતું હોય છે ત્યારે ઇન્દિરાબ્રિજ સર્કલ પાસે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યુ હતું. એક બાઇકચાલકને રોકતા તે સગીર હોવાનું સામે આવ્યુ હતું. જેથી પોલીસે સગીરને બાઇક ચલાવવા આપનાર માતા રેખાબેન બારોટ સામે જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોધીને ધરપકડ કરી છે. બાપુનગરમાં અકસ્માતમાં યુવકનું મોતઆ ઉપરાંત બાપુનગર વિસ્તારમાં બે ટુ-વ્હીલર વચ્ચે થયેલા અકસ્માતમાં યુવકનું મોત નિપજ્યુ હતું. જેમાં પોલીસે સગીરને ટુ-વ્હીલર આપનાર મિત્ર જયદિપ ઝાલા તેમજ બીજા ટુ-વ્હીલરમાં સગીરને ચલાવવા આપનાર મીત કુચારા સામે એચ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોધીને કાર્યવાહી કરી છે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 7:58 pm

રાજકોટ સમાચાર:મનપાએ 9 સ્થળેથી મીંઠાના નમૂના લીધા, 8 ધંધાર્થીઓને લાયસન્સ લેવા નોટિસ

મનપાની આરોગ્ય અને ફૂડ શાખાએ જુદી જુદી કંપનીના બ્રાન્ડેડ નમકના નમુના લેવા પણ ખાસ ડ્રાઇવ ચલાવી છે. પરાબજારમાં આવેલી સંદીપ સોલ્ટ ટ્રેડર્સ નામની પેઢીમાંથી તાજા, તરૂ અને અંકુર રીફાઇન્ડ આયોડાઇઝ સોલ્ટના નમુના લેવામાં આવ્યા હતા. સંતકબીર રોડ પર રામાપીર મંદિર પાસે આવેલ ખોડીયાર પ્રોવિઝન સ્ટોરમાંથી ટાટા, નિરમા શુધ્ધ અને દાંડી રીફાઇન્ડ નમકના નમુના લીધા હતા તો ગોકુલનગરના ગોકુલ જનરલ સ્ટોરમાંથી રીયલ રીચ સોલ્ટ, કાલાવડ રોડના જગન્નાથ પ્લોટમાં આવેલ ટાટા સોલ્ટ અને સફોલા સોલ્ટ પ્લસ મળી કુલ 9 નમુના પરીક્ષણમાં મોકલવામાં આવ્યા છે. મીઠામાં ઉમેરવામાં આવતા જુદા જુદા તત્વોનું પરીક્ષણ કરીને રીપોર્ટ આવશે તેના પરથી આગળની કાર્યવાહી થશે તેમ વિભાગે જણાવ્યું હતુ. આ દરમ્યાન ફૂડ શાખાએ શહેરના સ્પીડવેલ પ્લોટ 80 ફૂટ રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 19 ધંધાર્થિઓને ત્યાં 19 નમુનાની ચકાસણી કરી હતી જ્યારે 8 ધંધાર્થીને લાયસન્સ માટે સૂચના આપવામાં આવી છે.તેમાં (1)ક્રિષ્ના માવા કેન્ડી (2)પુર્ણિમા ઘૂઘરા (3)નિધિ કચ્છી દાબેલી (4)બાલાજી વડાપાઉં (5)ભેરુનાથ કોલ્ડ પાણીપૂરી (6)જીજે 36 ભૂંગળા બટેટા (7)આકાશ સ્વીટસ (8)જ્યુસ શેઇકનો સમાવેશ થાય છે. 30 મીએ નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિહિપનું યુવા સંમેલન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા છેલ્લા 33 વર્ષથી દર વર્ષે શૌર્ય દિવસ ઉજવવામાં આવે છે. શૌર્ય દિવસ પહેલા 6 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવતો હતો પરંતુ 2021 થી ગીતા જયંતીના દિવસે આ ઉત્સવ ઉજવવાનુ કેન્દ્રીય સમિતિ દ્વારા નક્કી કરવામા આવ્યુ હતુ. જે અંતર્ગત ગીતા જયંતી શૌર્ય દિવસ નિમિત્તે નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત બજરંગ દળ દ્વારા 30 નવેમ્બરના સાંજે 5 થી 7 રેસકોર્સ રીંગરોડ પર એરપોર્ટ ફાટક પાસે આવેલ સરસ્વતી શિશુ મંદિર ખાતે યુવા સંમેલન રાખવામાં આવ્યું છે. જેમાં વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સહ સંગઠન મહામંત્રી વિનાયકરાવ દેશપાંડેજી પણ ઉપસ્થિત રહેવાના છે અને તેમનું માર્ગદર્શન અને ઉદબોધન રાજકોટના યુવાનોને મળવાનું છે. જે કાર્યક્રમમાં રાજકોટ શહેરના DCP ક્રાઈમ જગદીશ બાંગરવા પણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહીને યુવાનોને નશા મુક્તિના વિષય પર માર્ગદર્શન આપવાના છે.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિહીપ રાજકોટ વિભાગના સહમંત્રી પરેશભાઈ રૂપારેલીયા બજરંગ દળના આ અભિયાન અને મુહિમમાં સંપૂર્ણપણે જોડાવા અને સાથ સહકાર આપવા માટે આહવાન કર્યું છે. રાજયમાં દારૂ-જુગારના અડ્ડા બંધ કરાવવા કોંગ્રેસની કલેકટર તંત્ર-પોલીસ કમિશનરને રજૂઆત રાજયમાં દારૂ-જુગારના અડ્ડા બંધ કરાવવાની માંગણી ઉઠાવી કોંગ્રેસ દ્વારા આ મામલે આજે કલેકટર તંત્ર તથા પોલીસ કમિશનરને આવેદનપત્ર અપાયુ હતુ. આ અંગે મહિલા કોંગ્રેસના પ્રમુખ દિપ્તીબેન સોલંકીએ ગુજરાતમાં નશાખોરીને નાથવા સ્થાપનાકાળથી જ તત્કાલીન સરકારએ કડક કાયદાકીય જોગવાઈઓ કરી હતી. ગુજરાતમાં દારૂ-ડ્રગ્સની બદીને લીધે યુવાનો નશાખોરીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે. ગુજરાત દારૂ-ડ્રગ્સનું પ્રવેશ દ્વાર તો બન્યું જ છે પરંતુ હવે નશાખોરીનું એપી સેન્ટર બની રહ્યું છે તે અત્યંત ચિંતાજનક બાબત છે. હવે ગુજરાતનો દરિયો કિનારો અને મેટ્રો સિટીમાં ચરસ, ડ્રગ્સ અને ગાંજા જેવા નસીલા પદાર્થોનું ચલણ વધ્યું છે. સામાન્ય બાબત બની રહી છે. છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું એકહથ્થુ શાસન છે. દારૂ અને ડ્રગ્સની બદીને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે ત્યારે દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવા અને મહિલા સુરક્ષા માટે પગલા લેવા તેઓએ માંગણી કરી હતી. આ રજૂઆતમાં શહેર કોંગ્રેસના પ્રમુખ રાજદિપસિંહ જાડેજા અને પૂર્વ પ્રમુખ અતુલ રાજાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. મહાબોધી મહાવિહાર મુક્તિ આંદોલનના સમર્થનમાં રાજકોટમાં 30 મીએ ધમ્મ સભા બિહારના બોધગયામાં આવેલું મહાબોધી મહાવિહાર એ વિશ્વના બૌદ્ધોનું આસ્થાનું કેન્દ્ર છે જ્યાં ગૌતમ બુદ્ધને બોધિ પ્રાપ્ત થઈ હતી આ મંદિર પર બિન બૌદ્ધોનો કબ્જો છે તેને મુક્ત કરાવવા માટે મહાબોધી મહાવિહાર મુક્તિ આંદોલન ચાલુ છે તેના સમર્થનમાં ભારતીય બૌધ્ધ મહાસભા, સમતા સૈનિક દળ અને સમસ્ત બૌધ્ધ સમુદાય દ્વારા ભવ્ય ધમ્મ સભાનું આયોજન તા. 30/11/2025 ના રોજ રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગ્યાનજયોતી મહાથેરો, ભન્તે વિનાચાર્ય, ભીખ્ખુ સંઘ, આયુ. ભીમરાવ યશવંતરાવ આંબેડકર ડો. બાબાસાહેબના પ્રપૌત્ર સહિતના ઉપસ્થિત રહી મહાબોધી મહા વિહાર મુક્તિ આંદોલનને નવી દિશા આપશે.બપોરે એક વાગ્યે ધમ્મ પદ યાત્રાની શરૂઆત બહુમાળી ભવનથી થશે જે શાસ્ત્રી મેદાન ખાતે પહોંચશે જ્યાં ભવ્ય ધમ્મ સભા યોજાશે. ધમ્મ પદયાત્રાનો રૂટ બહુમાળી ભવન (સરદાર પટેલની પ્રતિમાને પુષ્પો અર્પણ) - હોસ્પિટલ ચોક (ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પો અર્પણ) -જ્યુબિલી બાગ (રાષ્ટ્રપિતા જયોતિબા ફુલેની પ્રતિમાને પુષ્પો અર્પણ) - ત્રિકોણ બાગ - શાસ્ત્રી મેદાન ખાતે પૂર્ણ થશે. હેડ પોસ્ટ ઓફિસમાં તા.31 ડિસે.ના ડાક અદાલત શહેરની હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડીંગ ખાતે આગામી તા. 31મી ડિસેમ્બરે બુધવારના રોજ સવારના 11 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ટપાલ સેવાને લગતી ફરિયાદો અને પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે. હેડ પોસ્ટ ઓફિસમાં ત્રીજા માળે પોસ્ટ માસ્ટર જનરલની કચેરીમા યોજાનાર આ ડાક અદાલતમાં ટપાલ સેવાઓને લગતી ફરિયાદો પ્રશ્ર્ન મુકવા ઇચ્છતા નગરજનોને કે.એસ.ઠકકર સહાયક નિયામક તપાસ સેવાઓ પોસ્ટ માસ્ટર જનરલની કચેરી, હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડીંગ, ત્રીજા માળ, રાજકોટના સરનામે તા.22 ડિસેમ્બર સુધીમાં મોકલી આપવા જણાવાયું છે. નીતિ વિષયક બાબતોને લગતી ફરિયાદો આ ડાક અદાલતમાં ધ્યાનમાં લેવામાં આવશે નહીં. સિંગલ પેરેન્ટસના કેસમાં હવે બાળકના નામ પાછળ માતાનું નામ રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જન્મ-મરણના દાખલા સુધારવા માટે અને સીંગલ પેરેન્ટસ માટે મહત્વનો કાયદા સુધારો કરવામાં આવ્યો છે ત્યારે સરકારે તેની માર્ગદર્શિકા પણ જાહેર કરી દીધી છે. જેનો અમલ તુરંતમાં થાય એટલે રાજકોટ સહિતના શહેરો અને નગરોમાં છુટાછેડા બાદ બાળકના નામ પાછળ માતાનું નામ પણ દાખલ કરી શકાશે તેવી જોગવાઇ છે. રાજયના લાખો નાગરિકોને જન્મ અને મરણના દાખલામાં નામ સુધારવા અંગેની મુશ્કેલીઓમાંથી મુક્તિ આપતો નિર્ણય લેવાયો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા બે દિવસ પહેલા એક મહત્વપૂર્ણ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે, જે તાત્કાલિક અસરથી લાગુ થશે. આ નવા નિયમો ખાસ કરીને બદલાયેલા સામાજિક માળખા અને સિંગલ પેરેન્ટ્સને મોટી રાહત આપશે. આ પરિપત્ર મુજબ રાજકોટ મહાનગરપાલિકામાં ટૂંક સમયમાં સતાવાર જાહેર કર્યા બાદ અમલવારી ચાલુ કરવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. 1 ડિસેમ્બરે ગીતા જયંતી નિમિત્તે ગીતા મહોત્સવની ઉજવણી થશે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી દ્વારા તા.1 ડિસેમ્બરના રોજ ગીતા જયંતી નિમિત્તે સવારે 8.30 વાગ્યે ગીતા મહોત્સવની ઉજવણી આત્મીય સ્કૂલ ખાતે કરવામાં આવશે. આ ઉજવણીમાં પ્રાથમિક સ્તર, માધ્યમિક સ્તર અને ઉચ્ચ માધ્યમિક સ્તર, ઉચ્ચ શૈક્ષણિક સ્તર, મુક્ત સ્તર અને વિશેષ સ્તર વગેરે મળીને આશરે 500 સ્પર્ધકોએ સ્પર્ધામાં નોંધણી કરાવી છે. વિદ્યાર્થીઓ ભગવત ગીતાના ધાર્મિક વિચારોને જાણે તે હેતુથી આ આયોજન કરવામાં આવી રહયું છે. સ્પર્ધામાં સ્પર્ધકો સંપૂર્ણ ગીતા કંઠ પાઠ અને સુભાષિતોનું સંસ્કૃતમાં ગાન કરશે. જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલના માર્ગદર્શન હેઠળ ઈ.આઈ. યોગેશ ભટ્ટ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર કાર્યક્રમનો હેતુ સંસ્કૃત ભાષાને મુખ્ય ધારામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સુધી અનિવાર્યરૂપે જાળવી રાખવાનો છે. ગુજરાત સરકાર અને સંસ્કૃત બોર્ડ દ્વારા યોજના પંચકમનો લાભ વિદ્યાર્થીઓ અને ઘર ઘર સુધી સંદેશો પહોંચે તે આ કાર્યક્રમનો હેતુ છે. બાલભવનમાં 15 ડિસેમ્બરથી બાલમહોત્સવનો પ્રારંભ બાલભવન દ્વારા તા. 15-12-2025 થી 31-12-2025 દરમ્યાન 5 થી 16 વર્ષ સુધીનાં બાળકો માટે શારીરિક તેમજ માનસીક વિકાસને વેગ મળે તે હેતુસર દર વર્ષની જેમ આ વર્ષે પણ રમત ગમત તથા સાંસ્કૃતિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં રાજકોટ શહેરની શાળાઓએ દરેક સ્પર્ધાનું સ્પર્ધા વાઈઝ અલગ અલગ પેઈજમાં તથા ભાઇઓ-બહેનોનું પણ અલગ લીસ્ટ બે કોપીમાં મોકલવાનું રહેશે.તા. 01-12-2025 થી (રવિવાર સિવાય) સવારે 11:00 થી 1:00 તથા સાંજે 5:00 થી 7:30 દરમ્યાન ફોર્મ - એન્ટ્રી બાલભવન કાર્યાલયે ભરી શકાશે. ફોર્મ - એન્ટ્રી તા. 13-12-2025 સુધી સ્વીકારવામાં આવશે. બાલસભ્યો તેમજ સ્કૂલ સિવાયનાં બાળકો બાલભવનથી ફોર્મ મેળવી ભરી શકશે. સ્પર્ધા, વય તેમજ ધોરણ વાઇઝ નીચે પ્રમાણે રહેશે. આ બધી ટૂર્નામેન્ટ તા. 18 ડિસેમ્બર - 2025 થી તા. 21 ડિસેમ્બર 2025 દરમ્યાન સાંજે 4:00 વાગ્યે યોજાશે. જેના ફોર્મ 12 ડિસેમ્બર થી સ્પોર્ટસ વિભાગમાંથી મળશે.સંગીત ખુરશી સ્પર્ધા ધો. HKG થી ધો.2 : તા.15 ડિસેમ્બર-2025 સોમવારે,સવારે 8:30 ,લીંબુ ચમચી સ્પર્ધા: ધો. HKG થી 2 : તા. 16 ડિસેમ્બર-2025 મંગળવાર સમય સવારે 8:30, બેલેન્સ રેસ : ધો. 3 થી 4તા. 17 ડિસેમ્બર-2025 બુધવાર સમય સવારે 8:30, દેડકા દોડ : ધો. 3 થી 4 : તા.18 ડિસેમ્બર-2025 ગુરૂવાર સવારે 8:30, પોટેટો રેસ સ્પર્ધા: ધો. 5 થી 7 : તા. 19 ડિસેમ્બર-2025 શુકવાર સમય સવારે 8:30, 40 મીટર દોડ સ્પર્ધા : ધો. 5 થી 7 : તા. 20 ડિસેમ્બર-2025 શનિવાર સવારે 8:30, લંગડી સ્પર્ધા ધો. 8 થી 10 : તા.21 ડિસેમ્બર-2025 રવિવાર સવારે 8:30 ,સ્લો સાયકલીંગ સ્પર્ધા : ધો. 8 થી 10 : તા.22 ડિસેમ્બર-2025 સોમવાર સવારે 8:30 યોજાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર ભવનની 2 વિદ્યાર્થિનીની સિધ્ધિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આંકડાશાત્ર ભવનમાં એમ.એસ.સી. સેમેસ્ટર -4 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની રોજાસરા શીતલ રમેશભાઈ અને ગાબુ અંકિતા મનહરભાઈની રાષ્ટ્રીય આંકડાકીય ગોઠવણ તાલીમ સંસ્થા (National Statistical Systems Training Academy - NSSTA) (Under- Ministry of Statistics and Program Implementation - MoSPI) ના ટ્રેનીંગ પ્રોગ્રામમાં પસંદગી થઈ છે અને NSSTA ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે.NSSTA દ્વારા સમગ્ર દેશની તમામ યુનિવર્સિટીમાંથી 40 વિધાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાંથી માત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર ભવનની 2 વિદ્યાર્થિનીની NSSTA દ્વારા પાંચ દિવસીય ટ્રેનીંગ પ્રોગ્રામ માટે પસંદગી કરવામાં આવી છે.આ ટ્રેનીંગ પ્રોગ્રામ માટે લોજિંગ, બોડીંગ અને ટ્રાવેલિંગ સહીતની સમગ્ર વ્યવથા NSSTA દ્વારા કરવામાં આવશે અગામી તા. 22/12/2025 થી 26/12/2025 સુધી ઓફીસીયલ સ્ટેટસ્ટીક્સ વિષય ઉપર આ ટ્રેનીંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 7:57 pm

Editor's View: કટકે કટકે પ્રલય:પરમાણું બોમ્બની જેમ જ્વાળામુખી ફાટ્યો, ધગધગતી ધરતીએ પૃથ્વીની છાતી ચીરી, જળ પછી અગ્નિથી તબાહીના એંધાણ

તમને યાદ હશે, એડિટર્સ વ્યૂમાં આપણે કટકે-કટકે પ્રલયની વાત કરી હતી. અતિશય વરસાદ, પૂર અને ભૂસ્ખલન એ પૃથ્વી માટે સારી નિશાની નથી. હવે ધરતી પણ ધગધગી રહી છે. આજે આપણે પ્રલય પાર્ટ-2ની વાત કરવાની છે. આ પાર્ટ-2 છે જ્વાળામુખી... છેલ્લા બે-એક વર્ષમાં વોલ્કેનો એટલે જ્વાળામુખી ફાટવાના સંખ્યાબંધ બનાવો બન્યા છે. પણ છેલ્લા થોડા મહિનાઓમાં જ્વાળામુખી ફાટવાની જે ઘટનાઓ આપણી સામે આવી તેનાથી પૃથ્વીવાસીઓની ચિંતા વધી છે. નમસ્કાર, 11 મહિના પહેલાં વિશ્વનો સૌથી એક્ટિવ મનાતો અમેરિકાનો કિલાઉઆ જ્વાળામુખી ફાટ્યો હતો. 19 નવેમ્બરે ઈન્ડોનેશિયાના જાવા ટાપુ પર માઉન્ટ સેમેરુ નામનો જ્વાળામુખી ફાટ્યો હતો, તેનો લાવા 13 કિલોમીટર સુધી ફેલાયો હતો. અને હમણાં આફ્રિકાના રાજ્ય ઈથોપિયામાં હેલી ગુબ્બી નામનો જ્વાળામુખી ફાટ્યો હતો અને તેની રાખ, ધૂમાડો સાડા ચાર હજાર કિલોમીટર દૂર દિલ્હી સુધી પહોંચ્યા હતા. આ સૌથી મોટો ચિંતાનો વિષય છે. એક વર્ષ પહેલાં ને છ મહિના પહેલાંનો ચોમાસા સમયનો ઘટનાક્રમ તમને બરાબર યાદ હશે. પોરબંદરમાં 24 કલાકમાં 24 ઈંચ વરસાદ, દ્વારકામાં 5 દિવસમાં 50 ઈંચ વરસાદ, જૂનાગઢમાં તારાજી, 48 ગામ સંપર્કવિહાણાં, બદ્રીનાથ માર્ગ પર ભૂ-સ્ખલનને કારણે 4,000 શ્રદ્ધાળુ ફસાયા, હરિદ્વારમાં ગંગા ગાંડીતૂર બની, સંખ્યાબંધ વાહનો તાણી ગઈ, યુપી, બિહાર, ઝારખંડમાં વરસાદથી અને વીજળી પડવાથી 56નાં મોત, UPનાં 800 ગામ ડૂબ્યાં. પંજાબના ઈતિહાસમાં ક્યારેય ન આવી હોય તેવી હોનારત આવી. નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફિયર એડમિનિસ્ટ્રેશને જે રિસર્ચ કર્યું છે એેના આધારે ઘણાં તારણો નીકળ્યાં છે. આ અભ્યાસ આજકાલનો નથી, એક લાખ વર્ષ પહેલાં કે વીસ હજાર વર્ષ પહેલાં પૃથ્વીનું તાપમાન કેવું હતું, એની શી અસરો થઈ હતી, ત્યારથી લઈ અત્યારસુધીનો અભ્યાસ થતો આવ્યો છે. ટૂંકમાં તાપમાનમાં ફેરફારના કારણે પૃથ્વી પર પ્રલય જેવી સ્થિતિ બની રહી છે. માત્ર ભારતની વાત નથી, દુનિયાભરના દેશોમાં પૂર, ભૂસ્ખલનની સ્થિતિ બની હતી. ચોમાસાંમાં ઠેર ઠેર જળતાંડવ થયું હતું ને હવે ધીમે ધીમે જ્વાળામુખી સક્રિય બનીને પૃથ્વીની છાતી ચીરી રહ્યા છે. જ્વાળામુખી શું છે? જ્વાળામુખી એ પૃથ્વીની સપાટી પર હાજર કુદરતી તિરાડો છે. આના દ્વારા મેગ્મા, લાવા, રાખ જેવા પીગળેલા પદાર્થો વિસ્ફોટ સાથે પૃથ્વીના આંતરિક ભાગમાંથી બહાર આવે છે. પૃથ્વી પર 7 ટેક્ટોનિક પ્લેટ્સ અને 28 સબ-ટેક્ટોનિક પ્લેટ્સની અથડામણને કારણે જ્વાળામુખીની રચના થાય છે. જ્વાળામુખી વિસ્ફોટ કેવી રીતે થાય છે? ઇથોપિયામાં 12 હજાર વર્ષ પછી કેમ ફાટ્યો જ્વાળામુખી? લગભગ 12 હજાર વર્ષ પહેલાં સુધી પૃથ્વી પર હિમયુગ એટલે કે આઇસ એજ હતો. આખી દુનિયામાં ગ્લેશિયર્સ ફેલાયેલા હતા. એ જ સમય દરમિયાન ઇથોપિયાનો હેલી ગુબ્બી જ્વાળામુખી ફાટ્યો હતો. વૈજ્ઞાનિકો માને છે કે લગભગ 15 હજાર વર્ષ પહેલાં પૃથ્વી જ્યારે સૂર્યની આસપાસ ચક્કર લગાવી રહી હતી ત્યારે કેટલાક ફેરફારો થયા, જેનાથી સૂર્યનો વધુ પ્રકાશ પૃથ્વી સુધી પહોંચવા લાગ્યો અને ગ્લેશિયર્સ પીગળવા લાગ્યા. આનાથી હિમયુગ પૂરો થયો અને હોલોસીનયુગ શરૂ થયો, જે હજી પણ ચાલી રહ્યો છે. 12 હજાર વર્ષ પછી જ્વાળામુખી ફાટવાના બે કારણો છે:- 4300 કિલોમીટર દૂર દિલ્હી સુધી કેવી રીતે પહોંચી હેલી ગુબ્બી વોલ્કેનોની રાખ? 23 નવેમ્બરની સવારે લગભગ 8:30 વાગ્યે પ્રચંડ અવાજ સાથે હેલી ગુબ્બીમાં વિસ્ફોટ થયો. વિસ્ફોટમાંથી નીકળેલી રાખ અને ધુમાડાનો ગુંબજ આકાશમાં લગભગ 14 કિમી સુધી ઊંચે ઊઠ્યો અને યમન, ઓમાન થઈને 4300 કિમી દૂર દિલ્હી સુધી પહોંચી ગયો. હેલી જ્વાળામુખીના લાવાની રાખ હજારો કિલોમીટર દૂર પહોંચવાનું કારણ હાઈ-એલ્ટિટ્યૂડ વિન્ડ્સ અથવા ઊંચા સ્તરના પવનોને ગણાવવામાં આવી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રાના મતે, વધુ ઊંચાઈવાળા પવનોના કારણે રાખનાં વાદળો ઇથોપિયાથી લાલ સાગર, યમન અને ઓમાન થઈને અરબ સાગર અને ભારતીય વિસ્તાર સુધી પહોંચ્યા. હકીકતમાં પૃથ્વીથી 15 કિલોમીટર ઉપરના પવનને જેટ સ્ટ્રીમ કહેવામાં આવે છે, એની ઝડપ લગભગ 150 કિલોમીટર પ્રતિ કલાક હોય છે. જ્વાળામુખીની રાખમાં સિલિકાના પાર્ટિકલ, એટલે કે ખડકોના બારીક કણો હોય છે. તેમનો આકાર 1 માઇક્રોનથી 1 મિલીમીટર સુધીનો હોય છે. આ કણોની અંદર સલ્ફર ડાયોક્સાઇડ જેવા વાયુઓના પરપોટા હોય છે, તેથી તેમનું વજન ઘણું ઓછું હોય છે. હલકા હોવાને કારણે આ કણો નીચે પડતા નથી અને હવામાં જ તરતા રહે છે. વિસ્ફોટથી આ કણો પૃથ્વીથી 14 કિલોમીટર ઉપર સુધી પહોંચ્યા અને પશ્ચિમ તરફ ફૂંકાતી જેટ સ્ટ્રીમ તેમને પોતાની સાથે ખેંચીને 4300 કિમી દૂર દિલ્હી સુધી લઈ આવી. દિલ્હીમાં જ્વાળામુખીની રાખ અને ધુમાડાના વાદળની શું અસર થઈ? રાખનાં વાદળો 24 નવેમ્બરની રાત્રે ઉત્તર-પશ્ચિમી ભારતના મોટાભાગમાં ફેલાઈ ગયા. ગુજરાત, રાજસ્થાન, દિલ્હી-NCR, પંજાબ, હરિયાણા અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં રાખ અને ધુમાડાનાં વાદળ જોવા મળ્યાં. મૃત્યુંજય મોહપાત્રાના મતે, રાખની અસર આકાશથી પણ ઉપરના ભાગમાં એટલે કે લગભગ 25 હજારથી 40 હજાર ફૂટની ઊંચાઈ પર જ જોવા મળી. એ પછી 25 નવેમ્બરની સાંજે 7:30 વાગ્યા સુધી આ રાખ હિમાલય અને નેપાળની ટેકરીઓમાંથી પસાર થઈને ચીન તરફ વળી ગઈ. મોટાભાગની ફ્લાઈટ્સ સામાન્ય રીતે 30થી 40 હજાર ફૂટની ઊંચાઈ પર ઊડાન ભરે છે. તેથી 25 નવેમ્બરે એર ઇન્ડિયા, ઇન્ડિગો અને આકાસા જેવી ઘણી એરલાઇન્સે તેમની ડઝનેક ઊડાન રદ કરી દીધી. એમાંથી 7 ફ્લાઇટ્સ ઈન્ટરનેશનલ હતી, જે દિલ્હીથી જેદ્દાહ, કુવૈત, અબુ ધાબી અને યુરોપ જઈ રહી હતી. વોલ્કેનોની રાખથી હવામાં સલ્ફરની થોડી માત્રા વધી ગઈ, પરંતુ હવામાન વિભાગનું કહેવું છે કે રાખ જમીનની નજીકની હવા સુધી ન આવી અને એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે AQI પર એની ખાસ અસર થઈ નહિ. શું ઇથોપિયાનો જ્વાળામુખી વિસ્ફોટ કોઈ આફતનો સંકેત છે? હેલી ગુબ્બી જ્વાળામુખીમાં 12 હજાર વર્ષ પછી થયેલા વિસ્ફોટને ઘણા વૈજ્ઞાનિકો અસાધારણ ગણાવી રહ્યા છે. આટલાં વર્ષો પછી અચાનક વિસ્ફોટ થવો સામાન્ય નથી. આશ્ચર્યની વાત એ પણ છે કે આ વિસ્તારમાં હાજર જ્વાળામુખીઓની એક્ટિવિટી પર બહુ ઓછું સંશોધન કરવામાં આવ્યું છે. હકીકતમાં ઇથોપિયામાં હેલી ગુબ્બી જ્વાળામુખી ઉપરાંત પણ ઘણા બીજા જ્વાળામુખી ફાટતા રહે છે. જ્વાળામુખીઓની દેખરેખ રાખતી સંસ્થાઓના મતે, આ વિસ્ફોટોની સંખ્યામાં કોઈ અસામાન્ય વધારો નોંધાયો નથી. અહીં આખી દુનિયાના માત્ર 3% એક્ટિવ જ્વાળામુખી છે. ઇન્ડોનેશિયામાં 130થી વધુ એક્ટિવ જ્વાળામુખી છે અને દર વર્ષે ઓછામાં ઓછા 4-5 જ્વાળામુખી ફાટે છે. આ પ્રશાંત મહાસાગરની ચારેય તરફના 'રિંગ ઓફ ફાયર'ની બરાબર વચ્ચે આવે છે, જેને જ્વાળામુખી વિસ્ફોટની દૃષ્ટિએ સંવેદનશીલ માનવામાં આવે છે. એટલા માટે દુનિયાના 75-80% જ્વાળામુખી આ જ વિસ્તારમાં છે. દુનિયાના 90% સુધીના ભૂકંપ પણ આ જ વિસ્તારમાં આવે છે. સેમેરૂ જ્વાળામુખી કેવી રીતે ફાટ્યો? ઈન્ડોનેશિયાના જાવા ટાપુ પર માઉન્ટ સેમેરૂ જ્વાળામુખી છે. જે 19 નવેમ્બરે બપોરે 2 વાગ્યે ફાટ્યો. સેમેરૂનો સેટેલાઈટ વીડિયો રિલિઝ થયો છે જેમાં જોવા મળે છે કે રાખનાં વાદળો સેમેરુ પર્વત પરથી આસપાસનાં ગામો, પુલો અને ખેતરો તરફ આગળ વધતાં જોવા મળી રહ્યાં છે. જ્વાળામુખીમાંથી નીકળેલા મોટા પથ્થરો માઇલો દૂર જઈને પડ્યા.સરકારે આ વિસ્ફોટ માટે લેવલ 4નું એલર્ટ જાહેર કર્યું છે. સૌથી ખતરનાક જ્વાળામુખી વિસ્ફોટ માટે આ સ્તરનું એલર્ટ જાહેર કરવામાં આવે છે. ગરમ રાખ, ગેસ અને ખડકોનો ઝડપી પ્રવાહ 100 કિમીની ઝડપે દક્ષિણમાં 13 કિલોમીટર દૂર સુપિતુરંગ અને લુમાજાંગ ગામો સુધી પહોંચી ગયા. સમગ્ર વિસ્તારમાં સૂર્યપ્રકાશ ઘટી ગયો અને સલ્ફરની તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ. માઉન્ટ સેમેરૂમાં અત્યારસુધીમાં 2800 વખત વિસ્ફોટ થઈ ચૂક્યા છે. દુનિયાભરમાં કેટલા પ્રકારના જ્વાળામુખી છે? દુનિયામાં સંખ્યાની દ્રષ્ટિએ અગણિત જ્વાળામુખી છે એ ગણી શકાય નહીં, કારણ કે હજારો જ્વાળામુખી સમુદ્રની અંદર છે. દુનિયામાં જમીન પર લગભગ 1600 એક્ટિવ જ્વાળામુખી છે. એમના આકાર અને વિસ્ફોટના આધારે તેમને 4 કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે... છેલ્લે, ભારતમાં 4 જ્વાળામુખી છે. તેમાંથી 2 તો ગુજરાતમાં છે. આ જ્વાળામુખી નિષ્ક્રિય છે, એટલે ક્યારેય ફાટવાની સંભાવના નથી. 4 જ્વાળામુખીમાં... 1 આંદામાન-નિકોબાર ટાપુ પરનો નારકોડમ જ્વાળામુખી 2. કચ્છનો ધીણોધર પર્વત 3. ગિરનાર પર્વત 4. હરિયાણામાં ધોસી હિલ્સ સૌરાષ્ટ્રનો ચોટીલા ડુંગર પણ નિષ્ક્રિય જ્વાળામુખી માનવામાં આવે છે પણ હકીકતે તે કરોડો વર્ષો પહેલાં જ્વાળામુખીના લાવામાંથી બનેલો ડુંગર છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ... સોમવારે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 7:55 pm

પાલનપુર-અમદાવાદ રૂટના રેલવે યાત્રીઓ ધ્યાન દે:પૂલની કામગીરીને લઈ 30 નવેમ્બરની ચાર ટ્રેન રદ તો બે ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો, જુઓ લિસ્ટ

રેલવેમાં મોટાભાગના લોકો મુસાફરી કરતા હોય છે, ત્યારે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ આવતા પાલનપુર-અમદાવાદ સેક્શન પરના જગુદણ સ્ટેશન યાર્ડમાં આવેલ પૂલ સંખ્યા 985ના રિ-ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. આ પૂલ અપ મેન લાઇન પર કિલોમીટર 727/23-25 વચ્ચે સ્થિત છે. આ કાર્ય 'કટ-એન્ડ-કવર' પદ્ધતિથી અને રોડ ક્રેન દ્વારા પ્રીકાસ્ટ આરસીસી બોક્સ સ્થાપિત કરીને કરવામાં આવી રહ્યું છે. સુરક્ષા અને આવશ્યક એન્જિનિયરિંગ કામગીરીને ધ્યાનમાં રાખીને, 30 નવેમ્બરના રોજ નીચે મુજબની પેસેન્જર ટ્રેનોને આંશિક રીતે રદ અથવા રિ-શેડ્યુલ કરવામાં આવી છે. આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો1. ટ્રેન નંબર 20960 વડનગર-વલસાડ એક્સપ્રેસ30 નવેમ્બરના રોજ વડનગર-ગાંધીનગર કેપિટલ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 2. ટ્રેન નંબર14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ30 નવેમ્બરના રોજ આબુ રોડ-સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 3. ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ1 ડિસેમ્બરના રોજ સાબરમતી-આબુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 4. ટ્રેન નંબર 20959 વલસાડ-વડનગર એક્સપ્રેસ30 નવેમ્બરના રોજ ગાંધીનગર કેપિટલ-વડનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. રિ-શેડ્યુલ ટ્રેનો1. ટ્રેન નંબર 20485 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ30 નવેમ્બરના રોજ જોધપુરથી 2 કલાક મોડી ઉપડશે. 2. ટ્રેન નંબર 69207 ગાંધીનગર કેપિટલ-વરેઠા એક્સપ્રેસ30 નવેમ્બરના રોજ ગાંધીનગર કેપિટલથી 1 કલાક મોડી ઉપડશે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 7:44 pm

ટંકારામાં બે અલગ ઘટનામાં બે લોકોના મોત:જીવાપર પાસે યુવાન કૂવામાં અને વીરપર નજીક વૃદ્ધનું તળાવમાં ડૂબી જતા મોત

ટંકારા તાલુકામાં બે જુદા જુદા બનાવમાં કૂવા અને તળાવમાં ડૂબી જવાથી બે વ્યક્તિના મોત થયા છે. જીવાપર ગામ નજીક કૂવામાં પડી જવાથી એક અજાણ્યા યુવાનનું મૃત્યુ થયું હતું, જ્યારે વીરપર અને લજાઈ ગામ વચ્ચેના તળાવમાં ડૂબી જવાથી એક વૃદ્ધનું મોત નીપજ્યું હતું. બંને ઘટનાઓની જાણ થતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રથમ બનાવ ટંકારાના જીવાપર ગામથી 4 કિલોમીટર દૂર વાડી વિસ્તારમાં બન્યો હતો. અહીં 60 ફૂટ ઊંડા કૂવામાં એક અજાણ્યો યુવાન પડી ગયો હતો. મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ થતાં, ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી યુવાનના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ટંકારા તાલુકા પોલીસે આ બનાવ અંગે નોંધ કરી છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે વધુ તપાસ શરૂ કરી છે. બીજો બનાવ ટંકારાના વીરપર અને લજાઈ ગામ વચ્ચે આવેલા તળાવમાં બન્યો હતો. અહીં 60 વર્ષીય કનુભાઈ સીમલા ભુરીયા નામના વૃદ્ધ તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા. ફાયર વિભાગની ટીમે વૃદ્ધના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. વૃદ્ધના મૃતદેહને પણ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પણ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 7:42 pm

જાન્યુઆરીમાં ધોરણ 10ની પ્રિ-બોર્ડ પરીક્ષા યોજાશે:શહેરની તમામ શાળાઓમાં 16થી 22 જાન્યુઆરી સુધી પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન, DEOએ કાર્યક્રમ પણ જાહેર કર્યો

અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં પ્રિ-બોર્ડ પરીક્ષા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલી વખત બોર્ડની પરીક્ષા આપતા ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પ્રિ-બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. બોર્ડની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓનો ડર દૂર થાય અને બોર્ડની પરીક્ષાની પદ્ધતિથી વાકેફ થાય તે માટે પ્રિ-બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ફેબ્રુઆરી મહિનામાં 16 તારીખથી લઈને 22 તારીખ સુધી પરીક્ષા યોજાવાની છે. જેમાં અમદાવાદ શહેરની તમામ શાળાઓના ધોરણ 10ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બોર્ડની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓનો ડર દૂર કરવા પ્રિ-બોર્ડની પરીક્ષાનું આયોજનબોર્ડની પરીક્ષા સમયે વિદ્યાર્થીઓમાં ઘણો ડર જોવા મળતો હોય છે. એમાં ધોરણ 10ની એટલે કે પહેલી વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે ડરના મહિલામાં રહેતા હોવાથી સારી રીતે તૈયારી પણ કરી શકતા નથી. જેના કારણે તેમના પરિણામ પર તેની અસર જોવા મળતી હોય છે. તેમજ પહેલી વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ પરીક્ષાની પદ્ધતિથી વાકેફ ના હોવાથી ઘણી બધી ભૂલો કરતા હોય છે. જેથી બોર્ડની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓનો ડર દૂર કરવા માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા દર વર્ષે પ્રિ-બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હોય છે. જેના કારણે વિદ્યાર્થીઓના પરિણામ પર પણ તેની અસર જોવા મળતી હોય છે. વિદ્યાર્થીઓ હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશેઆ વર્ષે પણ અમદાવાદ શહેરની શાળાઓના ધોરણ 10ના વિદ્યાર્થીઓ પરીક્ષા પદ્ધતિથી વાફેક થાય અને બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓનો ડર દૂર થાય તે માટે પ્રિ- બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. બોર્ડની પરીક્ષામાં જે પ્રમાણે પેપર લેવામાં આવે છે તે જ પ્રમાણે પ્રિ-બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. અંગ્રેજી, ગુજરાતી, ગણિત (સ્ટાન્ડર્ડ, બેઝિક), વિજ્ઞાન અને ટેક્નોલોજી, સામાજિક વિજ્ઞાન સહિતના વિષયની પ્રિ-બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. શાળાની ભૌતિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની બેઠકની વ્યવસ્થા કરવા અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શાળાઓને સૂચના આપી છે. તેમજ હોલ ટિકિટ માટે વિદ્યાર્થીઓને એક લિંક આપવામાં આવશે જેના પરથી વિદ્યાર્થીઓ હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 7:36 pm

સસ્તા અનાજની દુકાનમાં બાયોમેટ્રિક વેરિફિકેશનનો પાયલોટ પ્રોજેક્ટ દહેગામથી શરૂ થશે:વાજબી ભાવની દુકાનો પર જથ્થાની ડોર સ્ટેપ ડિલિવરી માટે 5થી 15 ડિસેમ્બર વચ્ચે ટ્રાયલ

સરકારે જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવવા અને લાભાર્થીઓને ગુણવત્તાયુક્ત, પૂરતો અનાજનો જથ્થો સમયસર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી, વાજબી ભાવની દુકાનો (FPS) પર આવશ્યક ચીજવસ્તુઓના જથ્થાની ડોર સ્ટેપ ડિલિવરી સમયે ગ્રામ્ય તકેદારી સમિતિના ઓછામાં ઓછા બે સભ્યો દ્વારા બાયોમેટ્રિક/ઓટીપી બેઝડ સિસ્ટમથી ચકાસણી કરીને સહી લેવામાં આવશે. રાજ્યના આ પ્રથમ પાયલોટ પ્રોજેક્ટનો આરંભ દહેગામથી કરવામાં આવશે. પ્રથમ પાયલોટ પ્રોજેક્ટનો આરંભ દહેગામથીસંયુક્ત નિયામક ચેતન ગાંધીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આ નવી પ્રથાને અમલમાં મૂકવા માટે ગાંધીનગરના દહેગામ ખાતેથી રાજ્યના પ્રથમ પાયલોટ પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવશે. આ ટ્રાયલ પાંચથી 15 ડિસેમ્બર વચ્ચે શરૂ થશે. બાયોમેટ્રિક અથવા ઓટીપી બેઝડ સિસ્ટમથી જથ્થાની ચકાસણીરાજ્ય સરકારે ડોર સ્ટેપ ડિલિવરી પ્રણાલીમાં પારદર્શિતા વધારવા માટે મહત્વનો નિર્ણય કર્યો છે. જે અન્વયે વાજબી ભાવની દુકાનો પર ગોડાઉનમાંથી આવતા જથ્થાની ડોર સ્ટેપ ડિલિવરી થાય ત્યારે ગ્રામ્ય/શહેરી તકેદારી સમિતિના ઓછામાં ઓછા બે સભ્યો દ્વારા બાયોમેટ્રિક અથવા ઓટીપી બેઝડ સિસ્ટમથી જથ્થાની ચકાસણી કરીને ડિલિવરીની સહી લેવાશે. 80% સભ્યોનું બાયોમેટ્રિક વેરિફિકેશન લેવાશેઉપરાંત ડોર સ્ટેપ ડિલિવરી વખતે ગ્રામ્ય તકેદારી સમિતિના 80% સભ્યોનું બાયોમેટ્રિક વેરિફિકેશન લેવાશે. અને કાર્ડધારકોની હાજરીમાં આવેલા જથ્થાની ગુણવત્તાની ખરાઈ પણ કરવામાં આવશે. ગાંધીનગરમાં 340 વાજબી ભાવની દુકાનોસંયુક્ત નિયામક ગાંધીએ વધુમાં ઉમેર્યું કે, ગાંધીનગરમાં 340 વાજબી ભાવની દુકાનો આવેલી છે અને આ પાયલોટ પ્રોજેક્ટનું સુચારુ આયોજન કરવા માટે તેમણે વિતરણ સાથે સંકળાયેલા તમામને સહયોગ આપવા અપીલ કરી હતી. આજે (28 નવેમ્બરે) ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે અન્ન નાગરિક પુરવઠા નિયામકની કચેરીના સંયુક્ત નિયામક ચેતન ગાંધી અને અધિક નિવાસી કલેક્ટર નિશા શર્માના અધ્યક્ષ સ્થાને આ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી, તમામ મામલતદાર અને નાયબ મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 7:23 pm

IDBI બેન્કે બોટાદની શાળાને દાન આપ્યું:શિક્ષણ વિકાસ માટે ₹1.25 લાખની સહાય

બોટાદ નગરપાલિકા સંચાલિત ડૉ. અબ્દુલ કલામ પ્રાથમિક શાળા નં. 7 ને IDBI બેન્ક તરફથી શિક્ષણના વિકાસ માટે ₹1.25 લાખનું દાન મળ્યું છે. આ દાન હરણકુઈ વિસ્તારમાં આવેલી શાળાના વિદ્યાર્થીઓ માટે સુવિધાઓ સુધારવામાં મદદરૂપ થશે. આ દાન વિતરણ કાર્યક્રમમાં IDBI બેન્કના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર અનીશજી સોની, અમરેલીના બ્રાન્ચ હેડ શ્રી મલેક, બોટાદના બ્રાન્ચ મેનેજર અને બોટાદ બ્રાન્ચના આસિસ્ટન્ટ મેનેજર શ્રી વિનોદભાઈ કાગનો સમાવેશ થાય છે. શાળાના સ્ટાફ દ્વારા ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું શાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના શિક્ષક રાઠોડ કલ્પેશકુમાર પરશોતમભાઈનું પણ વિશેષ સન્માન કરાયું હતું. શિક્ષક રાઠોડ કલ્પેશકુમાર પરશોતમભાઈએ આ દાન પ્રાપ્ત કરાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. તેમના પ્રેરણાદાયી યોગદાન અને પ્રયાસો બદલ તેમને શાલ અને પુષ્પગુચ્છ આપીને ગૌરવવંતુ સન્માન અપાયું હતું. IDBI બેન્ક તરફથી મળેલું આ દાન શાળાના વિદ્યાર્થીઓના શિક્ષણ અને સુવિધાઓમાં સુધારો લાવવા માટે ઉપયોગી સાબિત થશે. આ પહેલ બોટાદમાં શિક્ષણક્ષેત્રે એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 7:18 pm

બનાસ સૈનિક સ્કૂલની કન્યા કેડેટ્સે ગૌરવ વધાર્યું:સૈનિક સ્કૂલ નેશનલ ગેમ્સ ટુર્નામેન્ટમાં 2 ગોલ્ડ અને 1 સિલ્વર સાથે ત્રણ મેડલ જીતી

મધ્ય પ્રદેશના રેવા સૈનિક સ્કૂલ ખાતે યોજાયેલી ઓલ ઈન્ડિયા સૈનિક સ્કૂલ નેશનલ ગેમ્સ ટુર્નામેન્ટમાં બનાસ સૈનિક સ્કૂલની ત્રણ કન્યા કેડેટ્સે ઉત્તમ પ્રદર્શન કરીને શાળાનું નામ રોશન કર્યું છે. આ ત્રણેય ખેલાડીઓએ કુલ 02 ગોલ્ડ અને 01 સિલ્વર મેડલ જીતીને બનાસ સૈનિક સ્કૂલ માટે ગૌરવનો ઇતિહાસ રચ્યો છે. આ ઐતિહાસિક પ્રદર્શનમાં 100 મીટર દોડમાં કૃતિ સિંહે ગોલ્ડ મેડલ મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જ્યારે 200 મીટર દોડમાં પ્રિયા કુમારીએ સિલ્વર મેડલ સાથે બીજું સ્થાન મેળવ્યું હતું. 400 મીટર દોડમાં બી. ભુવનાએ ગોલ્ડ મેડલ જીતીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહમાં નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સમાપન સમારોહમાં સેના અને વાયુસેનાના વડાઓએ વિજેતાઓને મેડલ એનાયત કર્યા હતા. આ સિદ્ધિ બદલ બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી, બનાસ મેડિકલ કોલેજ અને બનાસ સૈનિક સ્કૂલના ચેરમેન પી.જે. ચૌધરી, બનાસ સૈનિક સ્કૂલના ડાયરેક્ટર કર્નલ સતીશ વત્સ, પ્રિન્સિપાલ નિલેશ ઉપાધ્યાય તથા વ્યાયામ શિક્ષક દયાલી કુંવર અને મોતીભાઈ મોર સહિત સમગ્ર શાળા પરિવારે વિજેતા વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતા. બનાસ મેડિકલ કોલેજ અને બનાસ સૈનિક સ્કૂલના ચેરમેન પી.જે. ચૌધરીએ જણાવ્યું હતું કે, “કન્યા કેડેટ્સે રાષ્ટ્રીય મંચ પર દર્શાવેલી પ્રતિભા બનાસકાંઠા માટે ગૌરવની ક્ષણ છે. આ જીત માત્ર મેડલ જીતવાની નથી, પરંતુ દીકરીઓ શું કરી શકે છે તેનું પ્રેરણાદાયી ઉદાહરણ છે. બનાસ સૈનિક સ્કૂલે ઓછા સમયમાં જે પ્રગતિ કરી છે, તે શિસ્ત, મહેનત અને ગુણવત્તાયુક્ત તાલીમનું પ્રમાણપત્ર છે. ભવિષ્યમાં આવા વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓ મેળવવા માટે અમે રમતગમત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને તાલીમને વધુ મજબૂત બનાવશું.”

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 7:10 pm

પ્રાંતિજમાં દેશી દારૂના અડ્ડા પર SMCનો દરોડો:ત્રણ ઝડપાયા, ચાર ફરાર; ₹1.95 લાખનો મુદ્દામાલ જપ્ત

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના માવાની મુવાડી ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દેશી દારૂના અડ્ડા પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે ચાર ફરાર થઈ ગયા હતા. પોલીસે કુલ ₹1.95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. SMC ટીમને માવાની મુવાડી ગામમાં દેશી દારૂના ભઠ્ઠા ધમધમતા હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. સ્થળ પરથી ₹1.95 લાખથી વધુનો દેશી દારૂ, વોશ અને દારૂ બનાવવાનો સરસામાન મળી આવ્યો હતો. દરોડા દરમિયાન ઝડપાયેલા ત્રણ બુટલેગરોને સ્થાનિક પ્રાંતિજ પોલીસને સોંપવામાં આવ્યા હતા. ફરાર થયેલા ચાર આરોપીઓ સહિત કુલ સાત વ્યક્તિઓ વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આરોપીઓ અને મુદ્દામાલનો કબજો લીધો છે. પકડાયેલા આરોપીઓમાં સિદ્ધરાજસિંહ જિંદુસિંહ ઝાલા (અમરાપુર, પ્રાંતિજ), પિન્ટુસિંહ શિવસિંહ ઝાલા (માવપુર, પ્રાંતિજ) અને લાલુસિંહ પૃથ્વીસિંહ ઝાલા (માવપુર, પ્રાંતિજ) નો સમાવેશ થાય છે. ફરાર થયેલા આરોપીઓમાં મુખ્ય આરોપી ધર્મેન્દ્રસિંહ અમરસિંહ ઝાલા (માવપુર, પ્રાંતિજ), ભાગીદાર મહેન્દ્રસિંહ સજ્જનસિંહ ઝાલા (માવપુર, પ્રાંતિજ), મોન્ટુસિંહ કોદરસિંહ ઝાલા (માવપુર, પ્રાંતિજ) અને બલદેવ ચૌહાણ (ટોટેડા, તલોદ) નો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 7:08 pm

કરચલીયાપરામાં યુવાનને મોતને ઘાટ ઉતારનાર વધુ ત્રણ ઝડપાયા:પોલીસે ઘટનાસ્થળે લઈ જઈ રિ-કન્સ્ટ્રક્શન કર્યું; આરોપીઓને જોવા લોકોના ટોળેટોળા ઉમટ્યાં

ભાવનગર શહેરના કરચલીયા પર આ વિસ્તારમાં આવેલા રૂખડીયા હનુમાન મંદિર પાસે રહેતા મોહિત નરેશ ટેભાણી નામના શ્રમજીવી યુવાનની પૈસા લેવડદેવડ મામલે તેનાજ ચાર મિત્રોએ છરીના ઘા મારી હત્યા કરી હતી. આ અંગે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં પોલીસે ચાર શખસને ઝડપી લીધા હતાં. એક આરોપીનું ગઈકાલે રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જ્યારે આજે વધુ ત્રણ આરોપીનું રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. રિ-કન્સ્ટ્રક્શન વેળાએ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આરોપીઓએ તીક્ષણ હથિયારના ઘા મારી યુવકની હત્યા કરી હતીઆ બનાવ અંગે ગંગાજળીયા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર, શહેરના કરચલીયાપરા રૂખડીયા હનુમાન મંદિર પાસે રહેતા મોહિત નરેશભાઈ ટેભાણી (ઉં.વ.22)ની બે દિવસ પહેલાં રાત્રિના સમયે નાણાંકીય લેવડદેવડ મુદ્દે તેના જ મિત્ર કાનજી ઉર્ફે કાનો કાળુ બારૈયા, કિશન ઉર્ફે કાળો ઉર્ફે કોથમરી, રામ ઉર્ફે કાળીયો અને આર્યન બારૈયાએ કરચલીયાપરામાં આવેલા મેલડી માતાના મંદિર પાસે મોહિત ટેભાણી સાથે ઝઘડો કરી તેના પર તીક્ષણ હથિયારો વડે તૂટી પડ્યા હતાં. ઘટનાસ્થળે લોકો ઉમટી પડ્યાંમોહિત ટેભાણીને હથિયારોના આડેધડ ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઈ ગયા હતાં. આ ઘટના અંગે તેના કાકાએ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ચારેય શખસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે તપાસ દરમિયાન મુખ્ય આરોપી કાનજી ઉર્ફે કાનો કાળુ બારૈયાની ધડપકડ કરી ઘટનાસ્થળે લાવી સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું. જ્યારે આજરોજ (28 નવેમ્બર) વધુ ત્રણ આરોરીમાં કિશન ઉર્ફે કાળો ઉર્ફે કોથમરી, રામ ઉર્ફે કાળીયો તથા આર્યન બારૈયાને ઝડપી લઇ ઘટનાસ્થળે લઈ જઈ રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ વેળાએ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 7:05 pm

રોટરીનગરમાં 4 વર્ષથી ગટરના પાણીની સમસ્યા:મહિલાઓએ તંત્ર અને સ્થાનિક કોર્પોરેટર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા, કલેકટર કચેરીએ સમસ્યા અંગે રજૂઆત કરી

પાટણના રોટરીનગર વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષથી ગટરના પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ આજે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો સાથે કલેકટર કચેરી ખાતે નાયબ કલેકટરને રજૂઆત કરી હતી. વોર્ડ નંબર 9ની મહિલાઓએ નગરપાલિકાના તંત્ર અને સ્થાનિક કોર્પોરેટર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આમ આદમી પાર્ટીના પ્રતિનિધિઓ અને સ્થાનિક મહિલાઓએ પાટણ જિલ્લાના અધિક નિવાસી કલેકટરને આ અંગે વિસ્તૃત રજૂઆત કરી હતી. કલેકટરે તેમને ખાતરી આપી હતી કે સાંજ સુધીમાં નગરપાલિકાના અધિકારીઓ સમસ્યાગ્રસ્ત સ્થળનો સર્વે કરશે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, છેલ્લા ચાર વર્ષથી આ વિસ્તારમાં બારેમાસ ગટરના પાણી રસ્તાઓ પર રેલાઈ રહ્યા છે. ગંદા પાણી ઘરોમાં ન ઘૂસે તે માટે સ્થાનિકોએ પોતાના ખર્ચે રેતી પણ નખાવી હતી, પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. આ રજૂઆત દરમિયાન આમ આદમી પાર્ટીના પાટણ વિધાનસભા પ્રભારી સ્વયં સાલવી, પાટણ શહેર પ્રમુખ ઉત્તમ ડોડીયા અને પાટણ શહેર સહ પ્રભારી નિર્મલ સોલંકી સહિતના કાર્યકરો અને સ્થાનિકો હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 7:04 pm

પોલીસ કમિશનરનું જાહેરનામુ:આવતીકાલે રાષ્ટ્રીય એકતા યાત્રાના આગમનને લઈને પોલીસે ટ્રાફિક ડાયવર્ઝન-નો પાર્કિંગ જાહેર કર્યું, જાણો પ્રતિબંધિત રસ્તાઓ અને વૈકલ્પિક વ્યવસ્થા

સરદાર વલ્લભભાઈ પટેલની 150 જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરમાં તા. 29, 30 નવેમ્બર અને 1 ડિસેમ્બર, 2025 દરમિયાન રાષ્ટ્રીય યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે તે ધ્યાનમાં રાખીને જાહેર જનતાને અનુકૂળતા રહે અને ટ્રાફિક વ્યવસ્થા સુવ્યવસ્થિત રહે તે માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા ટ્રાફિક ડાયવર્ઝન અને નો પાર્કિંગ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પદયાત્રાનો સમય અને માર્ગતા. 29-11-2025: સવારે 8:30 કલાકે શેરખીથી પ્રારંભ, ગોત્રી ચેકપોસ્ટ, ગોત્રી તળાવ, યશ કોમ્પ્લેક્સ ચાર રસ્તા, હરીનગર બ્રિજ નીચેથી જમણે, ઇસ્કૉન મંદિર રોડ, ટાઇમ સર્કલ, રાણેશ્વર, પત્રકાર ચાર રસ્તા, ICAL સર્કલ, સનફાર્મા રોડ, અટલાદરા, BAPS સર્કલ, કલાલી બ્રિજ, અક્ષરચોક, મુજમહુડા, ડુંડસાલ, નાયરા પેટ્રોલ પંપ, અકોટા બ્રિજ, નવલખી ગ્રાઉન્ડ (રાત્રિ રોકાણ) તા. 30-11-2025: સવારે 8 વાગ્યે નવલખી ગ્રાઉન્ડથી પ્રારંભ, મહારાણી નર્સિંગ હોમ, અરવિંદ આશ્રમ (પુષ્પાંજલિ), દાંડિયા બજાર, માર્કેટ ચાર રસ્તા, કિર્તિસ્તંભ, રાજમહેલ રોડ, લાલબાગ, માંજલપુર, સ્પંદન ભવન્સ સ્કૂલ, સુશેન સર્કલ, માણેજા, જાંબુવા બ્રિજ, આઇડિયલ સ્કૂલ (12:30 થી 15:00 સુધી વિશ્રામ), નેશનલ હાઈવે સુંદરપુરા પાટીયા, આલમગીર, બાબરીયા કોલેજ-ત્રિમંદિર તા. 01-12-2025: સવારે 8:40 વાગ્યે ત્રિમંદિરથી પ્રારંભ, વરણામા, પોર વારાણી મંદિર ખાતે પહોંચશે. ટ્રાફિક-પાર્કિંગ પ્રતિબંધો (નો-પાર્કિંગ તથા અનામત રૂટ) ત્રણેય દિવસે પદયાત્રા ચાલુ રહે તે દરમિયાન આખા માર્ગ પરથી પસાર થતા તમામ રસ્તાઓ પર સંપૂર્ણ નો-પાર્કિંગ લાગુ રહેશે. ખાસ કરીને પદયાત્રા જે બાજુએથી પસાર થશે તે રોડની ડાબી બાજુનો આખો ટ્રેક માત્ર પદયાત્રા માટે અનામત રહેશે. કોઈપણ પ્રકારનાં વાહનો તે ટ્રેક પર પાર્ક કરી શકાશે નહીં કે તેનો ઉપયોગ કરી શકાશે નહીં. આ પ્રતિબંધ તા. 29-11-2025ના સવારે 7:30 વાગ્યાથી અને તા. 30-11-2025તથા 01-12-2025ના સવારે 7 વાગ્યાથી લાગુ થશે અને પદયાત્રા સંપૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 7:04 pm

હિંમતનગરમાં ₹2.23 કરોડ બેંક ખાતેદારોને પરત:'તમારી પૂંજી, તમારો અધિકાર' અભિયાન હેઠળ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે 'તમારી પૂંજી, તમારો અધિકાર' મહાઅભિયાન અંતર્ગત એક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાની વિવિધ બેંકો દ્વારા ખાતેદારોને અંદાજે રૂા. 2.23 કરોડની રકમ પરત કરવામાં આવી હોવાની માહિતી રજૂ કરાઈ હતી. ભારત સરકારના નાણાકીય સેવા વિભાગ (DFS) અને રિઝર્વ બેંકના DEAF નિધિ સંબંધિત આ મહાઅભિયાન બેંક ઓફ બરોડા દ્વારા હિંમતનગરના ટાઉન હોલમાં આયોજિત કરાયું હતું. આ અભિયાન અંતર્ગત, એકલા બેંક ઓફ બરોડા દ્વારા અત્યાર સુધીમાં અંદાજે રૂા. 2.10 કરોડથી વધુ રકમ ખાતેદારોને પરત કરવામાં આવી છે. કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલ આ અભિયાન લોકોના ભૂલાયેલા અથવા નિષ્ક્રિય નાણાં પરત લાવવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. તેમણે ઉમેર્યું કે, જનધન ખાતાં ખોલાવીને સરકારી સહાય સીધી લાભાર્થીના ખાતામાં જમા થાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ હતી, અને હવે આ અભિયાન ભૂલાયેલા નાણાં પાછાં પહોંચાડીને વિકસિત ભારત તરફનું એક લોક કલ્યાણકારી પગલું છે. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ જણાવ્યું કે, 'આપકી પૂંજી, આપકા અધિકાર' જેવા અભિયાનનો મુખ્ય હેતુ દેશનું અર્થતંત્ર મજબૂત બનાવવાનો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ નાગરિકોના બેંક ખાતામાં સીધો પહોંચે તે માટે પારદર્શક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જી.એસ.ટી., પ્રધાનમંત્રી જનધન યોજના અને મુદ્રા બેંક જેવી પહેલો દ્વારા નાણાકીય સશક્તિકરણને વેગ મળ્યો છે અને સામાન્ય જનતાને આર્થિક મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો પ્રયાસ છે. આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેક્ટર ક્રિષ્ના વાઘેલા સહિત વિવિધ બેંકોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 7:03 pm

ડાભેલના શખસને ઈન્સ્ટાગ્રામ પર બિભત્સ મેસેજ અને ધમકી:3 મહિનાથી ત્રાસ, મરોલીમાં પોલીસ ફરિયાદ નોંધાઈ

નવસારીના ડાભેલ ગામના એક ડ્રાઈવરને છેલ્લા ત્રણ મહિનાથી ઈન્સ્ટાગ્રામ પર બિભત્સ મેસેજ અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ મામલે પીડિત મોહમંદ આરીફ ઈસ્માઈલ વાંઝાએ મરોલી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરીફ વાંઝાએ પોલીસને જણાવ્યું કે, તેઓની ઈન્સ્ટાગ્રામ આઈડીમાં ગત 2 ઓગસ્ટના રોજ 'hasnain_shaikh_786_' નામની આઈડી પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી, જે તેમણે સ્વીકારી હતી. રિક્વેસ્ટ સ્વીકાર્યા બાદ સામેની આઈડી પરથી '૦y' લખીને મેસેજ આવ્યો હતો. આરીફ વાંઝાએ 'ક્યા હુવા' પૂછતાં જ અજાણ્યા ઈસમે તેમને અપશબ્દો લખી અને અશ્લીલ ફોટા મોકલીને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત, આ ઈસમે ઈન્સ્ટાગ્રામ પર ચહેરો સંતાડીને વીડિયો કોલ પણ કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વોઈસ કોલમાં પણ અપશબ્દો બોલવાનું ચાલુ રાખતા પીડિતે કોલ કાપી નાખ્યો હતો. ત્યારબાદ અજાણ્યા ઈસમે વારંવાર કોલ અને મેસેજ કર્યા હતા. એટલું જ નહીં, ઈન્સ્ટાગ્રામ પર બે વીડિયો પણ મોકલવામાં આવ્યા હતા, જેમાં એક વ્યક્તિ બંદૂક ફાયર કરતો દેખાતો હતો. આ વીડિયોની નીચે પણ અપશબ્દો લખીને 'બંદૂકથી મારી નાખવાની' ધમકી આપવામાં આવી હતી. આ ત્રાસથી કંટાળીને પીડિતે તાત્કાલિક 'hasnain_shaikh_786_' નામની આઈડીને અનફોલો કરી દીધી હતી. જોકે, ત્રાસ અટક્યો ન હતો. અજાણ્યા ઈસમે તરત જ 'arif_raja123457788888' નામની નવી આઈડી બનાવીને આરીફ વાંઝાને મેસેજ કરવાનું શરૂ કર્યું હતું અને છેલ્લા ત્રણ મહિનાથી આ નવી આઈડી પરથી પણ સતત અપશબ્દો અને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ સમગ્ર ઘટના અંગે પીડિતે પોતાના નાના ભાઈ અને તેની પત્નીને જાણ કરી હતી. ત્યારબાદ તેઓ મરોલી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. મરોલી પોલીસે 'hasnain_shaikh_786_' અને 'arif_raja123457788888' નામની ઈન્સ્ટાગ્રામ આઈડીનો ઉપયોગ કરનાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ધમકી આપવા, બિભત્સ સામગ્રી મોકલવા અને અપશબ્દો બોલવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આઈડી ધારકોને શોધી કાઢવા માટે ટેકનિકલ સર્વેલન્સની મદદ લેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 7:00 pm

કોન્ટ્રાક્ટમાં મોટા નફાની લાલચ આપી 2.43 કરોડની છેતરપિંડી:કોન્ટ્રાક્ટર સહિત અનેક લોકો ભોગ બન્યા, પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી

જામનગર શહેરમાં કોન્ટ્રાક્ટમાં મોટા નફાની લાલચ આપીને કોન્ટ્રાક્ટર સહિત અનેક લોકો પાસેથી રૂ. 2.43 કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ બનાવમાં ગુલાબનગર વિસ્તારના આદિત્યપાર્કમાં રહેતા કોન્ટ્રાક્ટર અશ્વિન વશરામભાઈ વાળા (ઉ.વ. 41) મુખ્ય ભોગ બન્યા છે. અશ્વિનભાઈ 'મિશા એન્ડ કંપની'ના નામે વ્યવસાય ચલાવે છે. તેમના મિત્ર દેવશીએ તેમને સરાના કુવા પાસે રહેતા મનશીલ હર્ષદ કોયા સાથે પરિચય કરાવ્યો હતો, જે 'મનશીલ એન્ટરપ્રાઇઝ'ના નામે સરકારી કોન્ટ્રાક્ટનું કામ કરતો હોવાનું જણાવાયું હતું. દેવશીએ અશ્વિનને જણાવ્યું હતું કે મનશીલ કોયા 30 ટકા નફાવાળો ધંધો કરે છે અને રોકાણ કરનારને 14 ટકા નફો આપે છે. આ પ્રકારે વિશ્વાસમાં લઈને મનશીલે અશ્વિન અને તેમના પરિવારજનોના નામે કુલ રૂ. 21 લાખનું રોકાણ કરાવ્યું હતું, અને ટૂંક સમયમાં નાણાં પરત મળવાનો વિશ્વાસ અપાવ્યો હતો. સમય જતાં, મનશીલે જુદા જુદા કોન્ટ્રાક્ટના નામે અશ્વિન પાસેથી કુલ રૂ. 48 લાખનું રોકાણ મેળવી લીધું હતું. આ જ રીતે, તેણે અન્ય અનેક લોકો પાસેથી કોન્ટ્રાક્ટના વર્ક ઓર્ડરોના બહાને કુલ રૂ. 2,43,50,000 (બે કરોડ તેતાલીસ લાખ પચાસ હજાર) ની માતબર રકમ રોકાણના નામે પડાવી લીધી હતી. જ્યારે અશ્વિનને રોકાણ કરેલા રૂપિયા અને નફો પરત ન મળતા, તેમણે મનશીલનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનો ફોન બંધ આવતો હતો. છેતરપિંડીની જાણ થતાં, પીઆઈ એન.એ. ચાવડા અને સ્ટાફે અશ્વિન સહિતના ભોગ બનેલા લોકોના નિવેદનોના આધારે મનશીલ વિરુદ્ધ રૂ. 2.43 કરોડની છેતરપિંડીનો ગુનો નોંધી તેની ધરપકડ માટે તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મનશીલે આ કૌભાંડમાં તેની પત્નીના બેંક એકાઉન્ટનો પણ ઉપયોગ કર્યો હતો. આરોપી હાલ ફરાર છે અને પોલીસ તેને ઝડપી પાડવા માટે કાર્યવાહી કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 6:45 pm

બોટાદમાં 1962 સેવાઓ દ્વારા 3 લાખથી વધુ જીવોને સારવાર:કરુણા એનિમલ એમ્બ્યુલન્સ, MVD અને MVU બન્યા રક્ષાકવચ

બોટાદ જિલ્લામાં ગુજરાત સરકાર અને ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસના સંયુક્ત ઉપક્રમે કાર્યરત કરુણા એનિમલ એમ્બ્યુલન્સ (1962), મોબાઇલ વેટેનરી ડિસ્પેન્સરી (MVD) અને મોબાઇલ વેટેનરી યુનિટ (MVU) દ્વારા અત્યાર સુધીમાં 3 લાખથી વધુ પશુ-પક્ષીઓને સારવાર આપવામાં આવી છે. આ સેવાઓ ઘાયલ કે બીમાર અબોલ જીવો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ઓક્ટોબર 2025 સુધીમાં બોટાદ જિલ્લામાં આ ત્રણેય એકમો દ્વારા કુલ 3,09,939 પશુ-પક્ષીઓને સ્થળ પર જ નિ:શુલ્ક સારવાર પૂરી પાડીને નવજીવન બક્ષવામાં આવ્યું છે. આ સેવાઓમાં 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ (શહેરી વિસ્તાર માટે) દ્વારા 28,451 પશુ-પક્ષીઓને સારવાર અપાઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યરત મોબાઇલ વેટેનરી ડિસ્પેન્સરી (MVD) દ્વારા 2,64,786 પશુ-પક્ષીઓને અને મોબાઇલ વેટેનરી યુનિટ (MVU) દ્વારા 16,702 પશુ-પક્ષીઓને સારવાર મળી છે. આ સેવાઓ દ્વારા જટિલ ઓપરેશન અને નાજુક સારવારમાં પણ પ્રેરણાદાયક કામગીરી કરવામાં આવી છે. બોટાદમાં રાણપુર MVD દ્વારા ગાય અને ભેંસના હોર્ન કેન્સરનું સફળ ઓપરેશન કરાયું છે. આ ઉપરાંત, વેન્ટ્રલ હોર્ન બેઝ પર કેન્સરસ ગ્રોથ અને ગાયના નાભિના ગૂમડાંનું પણ સફળતાપૂર્વક ઓપરેશન કરીને અનેક જીવોનો જીવ બચાવવામાં આવ્યો છે. શ્વાન, ગાય, ભેંસ, બિલાડી, કબૂતર કે ચકલી જેવા તમામ અબોલ જીવોને કરુણા એનિમલ એમ્બ્યુલન્સ, MVD અને MVUની ટીમ દ્વારા સમયસર અને સમાન સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. બોટાદ જિલ્લાના માર્ગો પર નિર્બળ બનેલા આવા જીવોને આ સેવાઓ દ્વારા તુરંત મદદ મળે છે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 6:35 pm

6 મહિના જૂની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો,:જુનાગઢ B ડિવિઝન પોલીસે ₹ 57,000ની ચોરી કરનાર આરોપી રવિ સોલંકીને ₹ 18,300 રોકડ સાથે ઝડપી પાડ્યો. આચરેલ ગુનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

જુનાગઢ પોલીસની સતર્કતા અને ટેકનિકલ સર્વેલન્સને કારણે છ મહિના પહેલા થયેલી એક ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. જુનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડીયા અને એસપી સુબોધ ઓડેદરા દ્વારા મિલકત સંબંધિત ગુન્હાઓના આરોપીઓને ઝડપી પાડવા આપેલી સૂચનાના આધારે, જુનાગઢ બી ડિવિઝન પોલીસે આ સફળતા મેળવી છે. ગઈ તા. 25/05/2025 ના જુનાગઢ જેતપુર હાઇવે પર આવેલી જય એસ્ટેટ નામના ગોડાઉન ખાતેની ઓફિસમાંથી રોકડ રૂ. 57,000/- ની ચોરી થઈ હતી. જેના cctv ફૂટેજ પણ હાલ સામે આવ્યા છે.આ ઘરફોડ ચોરીની જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ હતી.ગુન્હાની ગંભીરતાને ધ્યાનમાં લઈને, પોલીસ ઇન્સ્પેક્ટર જે. જે. પટેલની રાહબરી હેઠળ ગુન્હા શોધક શાખાની ટીમો દ્વારા સીસીટીવી કેમેરા, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ (બાતમીદારો)ની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી.​ ડિવિઝન પોલીસે બાતમીના આધારે ચોરી કરનાર ઇસમ જુનાગઢ દોલતપરા રોડ, જી.આઇ.ડી.સી નજીક થી રવિ સોલંકીને રોકડ રકમ રૂ.18,300 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.આરોપી પાસેથી રોકડ મુદ્દામાલ મળી આવતા પોલીસે તેને ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.​ આ કામગીરી જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ. જે. જે. પટેલ,એ.એસ.આઇ. એસ. એસ. પરમાર,પોલીસ હેડ કોન્સ. પરેશભાઇ હુણ,પોલીસ હેડ કોન્સ. નરેશભાઇ શિંગરખીયા,પો. કોન્સ. મુકેશભાઇ મકવાણા,પો. કોન્સ. રઘુવીરભાઇ વાળા,પો. કોન્સ. મુળભાઇ વાંદા,પો. કોન્સ. મનીષભાઇ હુંબલ દ્વારા આ ગુનો ઉકેલવા મહત્વની ભૂમિકા ભજવી હતી.​

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 6:29 pm

બનાસકાંઠાના પાલનપુર સહિત અનેક પંથકોમાં કમોસમી વરસાદ:શિયાળુ પાકમાં નુકસાનની ભીતિ, ભર શિયાળે ચોમાસા જેવું વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતોમાં ચિંતા

બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. પાલનપુર સહિત અનેક પંથકોમાં ધીમીધારે કમોસમી વરસાદ શરૂ થયો છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ભર શિયાળે ચોમાસા જેવું વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ નોંધાયો છે, જેનાથી ખેડૂતો ચિંતિત બન્યા છે. ઉનાળા અને ચોમાસામાં થયેલા નુકસાન બાદ ખેડૂતોએ માંડ માંડ શિયાળુ વાવેતર કર્યું હતું. આવા સમયે ફરી કમોસમી વરસાદી માહોલ જામતા બટાકા, રાયડો, ઘઉં અને વરિયાળી સહિતના પાકોને ભારે નુકસાન થવાની આશંકા છે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 6:22 pm

કલોલમાં બંધ મકાનના તસ્કરોએ તાળા તોડ્યા:1.12 લાખના સોના-ચાંદીના દાગીના ચોરી ફરાર, પરિવાર લૌકિક ક્રિયા માટે કડી ગયો હતો

કલોલના રેલવે પૂર્વ વિસ્તારમાં આવેલા મથુરીયા સોસાયટી વિભાગ-1ની બાજુમાં રહેતા એક પરિવારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂ .1.25 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાની ફરિયાદ કલોલ શહેર પોલીસ મથકના ચોપડે નોંધવામાં આવી છે. લૌકિક ક્રિયામાં ગયેલા પરિવારનું બંધ મકાન તસ્કરોએ ખોલ્યુંકલોલના રેલવે પૂર્વ વિસ્તારમાં આવેલા મથુરીયા સોસાયટી વિભાગ-1 ની બાજુમાં રહેતા કમલેશભાઈ બળદેવભાઈ સોલંકી ખાત્રજની અરવિંદ મીલમાં નોકરી કરે છે. તેમના કૌટુંબિક ભાઈની દીકરીનું અવસાન થતાં તેઓ ગઈકાલે સવારે આશરે 9 મકાન બંધ કરી મુખ્ય દરવાજે તાળું મારી સહ-પરિવાર સાથે લૌકિક ક્રિયા માટે વતન ગામ કડી ગયા હતા. જ્યાંથી સાંજના આશરે 5 વાગ્યે પરિવાર ઘરે પરત આવતા તેમણે જોયું તો મકાનના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં હતું અને દરવાજો અર્ધ ખુલ્લી હાલતમાં હતો. બાદમાં ઘરમાં જઈને તપાસ કરતાં એક રૂમની તિજોરીનો દરવાજો ખુલ્લી હાલતમાં હતો અને તેના ડ્રોઅર પણ ખુલ્લા હતા. 1.25 લાખના સોના-ચાંદીના દાગીના પર હાથ સાફઆ ઉપરાંત તેમના પિતાજીના રૂમના દરવાજાનું લોક પણ તૂટેલું જોવા મળ્યું હતું .ઘરની તિજોરીઓ તેમજ કબાટમાં મુકેલા કપડાં અને અન્ય વસ્તુઓ વેરણ-છેરણ પડેલી હતી. આથી, કમલેશ ભાઈ અને તેમની પત્નીએ વિગતવાર તપાસ કરતા તસ્કરો તિજોરીમાંથી રૂ.1.12 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના ચોરી ગયાનું માલુમ પડ્યુ હતું. આ અંગે કલોલ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 6:15 pm

નવસારી લુન્સીકુઈ મેદાનના નવીનીકરણ સામે વિરોધ:મેદાનને માત્ર રમતગમત માટે જ અનામત રાખવાની રમતવીરોએ માંગ કરી કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું

નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના ઐતિહાસિક લુન્સીકુઈ મેદાનના નવીનીકરણ અને વિકાસની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે, આ આયોજન સામે શહેરના રમતવીરો, સ્પોર્ટ્સ એસોસિએસન્સ અને લુન્સીકુઈ ક્રિકેટ ક્લબે નારાજગી વ્યક્ત કરી છે. તેઓએ જિલ્લા કલેક્ટરને આ અંગે આવેદનપત્ર પાઠવ્યું છે. તેમની મુખ્ય માંગ છે કે, મેદાનને કોમર્શિયલ હેતુ કે પાર્કિંગ માટે વાપરવાને બદલે માત્ર રમતગમત માટે જ અનામત રાખવામાં આવે. રમતપ્રેમીઓની રજૂઆત મુજબ, મેદાનમાં અન્ય રમતો માટે સ્થાયી કોન્ક્રીટ મેદાનો બનાવવાનું આયોજન છે. આનાથી ક્રિકેટ, ફૂટબોલ, એથ્લેટિક્સ, વોલીબોલ અને હેન્ડબોલ જેવી મુખ્ય રમતો માટે મેદાન નાનું પડશે. ઉપરાંત, મેદાનની વચ્ચે આવતા કોન્ક્રીટ સ્ટ્રક્ચરને કારણે ખેલાડીઓને ઈજા થવાનો કે અકસ્માત સર્જાવાનો ભય પણ વ્યક્ત કરાયો છે. મેદાનમાં સિન્થેટીક વોક-વે બનાવવાની દરખાસ્ત આવકાર્ય છે, પરંતુ જો તે મેદાનના મૂળ લેવલ મુજબ નહીં હોય, તો દોડવીરો અને ખેલાડીઓ માટે જોખમી બની શકે છે. રમતવીરોએ સૂચન કર્યું છે કે વોક-વે અન્યત્ર બનાવવો જોઈએ અથવા મેદાનની રમતને નુકસાન ન થાય તે રીતે તેનું નિર્માણ થવું જોઈએ. ભૂતકાળમાં, નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા લાખો રૂપિયાના ખર્ચે 'નવસારી પ્રીમિયર લીગ' માટે મેદાનને ઝીરો લેવલ અને ગ્રીન બનાવવામાં આવ્યું હતું. જોકે, મેદાનના વેપારીકરણ અને અન્ય કાર્યક્રમો માટે ફાળવણીને કારણે તેની દુર્દશા થઈ છે. રમતવીરોએ તાજેતરમાં મેદાનમાં સિટી બસનું પાર્કિંગ અને ડ્રાઈવરોની ટ્રેનિંગ ચાલતી હોવા અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી, જેને તેઓ રમતગમતના મેદાનનું અપમાન ગણે છે. રમતવીરોની મુખ્ય માંગણીઓ: બાંધકામ રદ કરો: મેદાનની અંદર કોઈપણ પ્રકારના કોન્ક્રીટ કે સ્થાયી બાંધકામો ન કરવા.સુરક્ષા દીવાલ: મેદાનની સુરક્ષા માટે ફરતે દીવાલ અને દરવાજા બનાવી કોર્ડન કરવું, જેથી મેદાન સચવાઈ રહે.માત્ર રમત માટે ફાળવણી: ભૂતકાળમાં પાલિકાએ કરેલા ઠરાવ મુજબ મેદાન માત્ર રમત-ગમત અને સરકારી કાર્યક્રમો માટે જ ફાળવવું, કોમર્શિયલ ઈવેન્ટ્સ માટે નહીં.નેચરલ ગ્રાઉન્ડ: મેદાનમાં જુદા-જુદા માટીના મેદાનો બનાવવા અને ખેલાડીઓને નેચરલ પ્લેટફોર્મ પૂરું પાડવું. ઐતિહાસિક વારસો જાળવવા અપીલલુન્સીકુઈ મેદાન નવસારીના દાતાઓએ રમતગમત માટે ભેટ આપેલું ઐતિહાસિક મેદાન છે. પાલિકાએ દાતાઓની તકતીઓ ફરી સ્થાપિત કરી છે તે સરાહનીય છે, પરંતુ દાતાઓની મૂળ ભાવના મુજબ આ મેદાનનો ઉપયોગ માત્ર નવસારીના નાગરિકોના સ્વાસ્થ્ય અને રમતગમતની પ્રવૃત્તિઓ માટે જ થાય તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. આ મામલે મહારાજા સયાજીરાવ ગાયકવાડના પ્રપોત્ર જીતેન્દ્રસિંહ ગાયકવાડે પણ સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કરી જણાવ્યું હતું કે, 28 એકરનું લુન્સીકુંઇનું મેદાન પબ્લિક યુટીલીટી અને પબ્લિક વેરફેર માટે ખાસ કરીને રમતગમત માટે આપવામાં આવ્યું હતું અને મહારાજા પ્રતાપસિંહ રાવ દ્વારા શિરવાઈ ફેમિલીને રિક્વેસ્ટ કરી હતી કે, મારી મૂર્તિ અહીં લાગવાની છે અને ત્યાં સરસ મજાનું એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ થાય એ રીતનું આખું પ્લાનિંગ થયું હતું એ મેદાનની અંદર આજે ટોયલેટ બ્લોક બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જે ખૂબ જ અનએસ્ટેટિક છે આવા મેદાન હવે નવસારીમાં રહ્યા નથી, વડોદરામાં પણ 60 થી 70 ટકા મેદાનોનું સત્ય નાશ થયું છે. છેલ્લા 60થી 70 વર્ષની અંદર આપણા જે મુરબ્બીઓ છે એમણે આ ઝુંબેશ ઉઠાવવી જોઈએ નહીં તો આ ગ્રાઉન્ડની ગરીમા રહેશે નહીં. મહારાજા સયાજીરાવના પ્રપૌત્રના નાતે મારી લાગણી ઘણી દુભાયેલી છે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 6:07 pm

બુટલેગરોએ લીધો એમ્બ્યુલન્સનો સહારો:વધુ એક BLOને કામના ભારણમાં હાર્ટ એટેક, પોલીસ સ્ટેશનમાં જ આધેડે ટૂંકાવ્યું જીવન, શિયાળો જામે એ પહેલાં તો માવઠાની વકી

રાષ્ટ્રીય એક્તા યાત્રાનો આજે ત્રીજો દિવસ સરદાર સાહેબની 150મી જન્મજયંતીની ઉજવણીના ભાગ રુપે શરુ થયેલી રાષ્ટ્રીય એક્તા યાત્રા આજે વડોદરા પહોંચી.યાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય મંત્રી સરબાનંદ સોનોવાલ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી અજય ટામટા હાજર રહ્યા.. આ સમચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો કામના ભારણમાં વધુ એક BLOનું મોત SIRની કામગીરીના ભારણમાં વધુ એક BLOનું મોત થયું. મહેસાણાના સુદાસણા ગામમાં કન્યાશાળાના મુખ્ય શિક્ષક અને BLO દિનેશભાઈ રાવળને હાર્ટએટેક આવ્યો. આ સમચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો ભદ્ર પરિસર ફેરિયા અને પાથરણાવાળાઓ માટે બંધ અમદાવાદના ભદ્રકાળી મંદિરના પાસે આવેલા ભદ્ર પરિસરમાંથી પાથરણાંવાળાઓને હટાવી દેવામાં આવ્યા.કાયદેસર માન્યતા ધરાવતા 844 પાથરણાંવાળાઓન બીજા પ્લોટ ફાળવાયા, પરંતું તેઓ ત્યા બેસવા તૈયાર નથી. આ સમચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો નશાની હાટડી બનેલા બ્રિજ નીચેથી હટાવાયા દબાણો સુરતના સરથાણા બ્રિજ નીચે નશાના કારોબારના વીડિયો સામે આવ્યા બાદ કાર્યવાહી..વરાછાથી સરથાણા સુધી ગેરકાયદે રહેતા 250થી વધુ લોકોને હટાવીને દબાણો દૂર કરવામાં આવ્યા. આ સમચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો એકતરફી પ્રેમમાં યુવકે પોતાને સળગાવી દીધો અમદાવાદના સરખેજમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે પેટ્રોલ છાંટી પોતાને સળગાવી દીધો. સળગતી હાલતમાં રસ્તા પર દોડતા યુવક પર લોકોએ પાણીનો મારો ચલાવ્યો. જો કે સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું. આ સમચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો પોલીસ સ્ટેશનમાં આધેડનો આપઘાત ભાવનગરમાં પાલીતાણા પોલીસ સ્ટેશનમાં એક આધેડ વ્યક્તિએ આપઘાત કરી લીધો.. શેત્રુંજય ડુંગર પર આરતી માટે યોગેશભાઈએ 11 લાખની બોલીની રકમ ન ચૂકવતાં પોલીસમાં અરજી થઈ હતી, જેની પૂછપરછ માટે બોલાવતા તેમણે અનાજમાં નાખવાના ટિકડા ખાઈ લીધા. આ સમચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો દારુની હેરફેર માટે એમ્બ્યુલન્સનો સહારો બુટલેગરોએ દારુની હેરાફેરી માટે હવે એમ્બ્યુલન્સનો સહારો લીધો. છોટા ઉદેપુરમાં એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂની કુલ 928 બોટલ મળી હતી. આ સમચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો માતાની નજર સામે જ દીપડો બાળકીને ખેંચી ગયો અમરેલીમાં દીપડાએ એક વર્ષની બાળકીનો શિકાર કર્યો. માતાની નજર સામે જ દીકરીને ખેંચી જઈ મારણ કર્યું. વનવિભાગે માનવભક્ષી દીપડાને પકડવા સાત જગ્યાએ પાંજરા મૂક્યા. આ સમચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો કાર્તિકી પૂર્ણિમાના મેળાનો રંગેચંગે પ્રારંભ સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ થયો. મેળો 27 નવેમ્બરે શરુ કરાયો અને 1 ડિસેમ્બર સુધી ચાલશે.. પ્રથમ દિવસે 1 લાખથી વધુ લોકો મેળામાં ઉમટ્યા. આ સમચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો ભરશિયાળે વધુ બે માવઠાની આગાહી રાજ્યમાં હજુ તો ઠંડી બરાબર જામી નથી ત્યાં ડિસેમ્બરમાં માવઠાની આગાહી કરવામાં આવી. 7-10 અને 23 થી 28 ડિસેમ્બર સુધી કમોસમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સમચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 5:55 pm

ગાંજાની ડિલિવરી માટે સગીરને રાખી રેકેટ ચલાવતો:ડીંડોલી પોલીસે મકાનમાં દરોડો પાડી 2 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો; 3 ઝડપાયા, મુખ્ય આરોપી સંતોષ બિહારી ફરાર

સુરતની ડીંડોલી પોલીસની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે નવાગામ શ્રીનાથનગર ખાતેના એક મકાન પર દરોડો પાડીને ગાંજાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળેથી બે આરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળકિશોરને ઝડપી પાડયા કરી છે. આ કાર્યવાહીમાં પોલીસને કુલ 2,13,740ની કિંમતનો મુદ્દામાલ મળી આવ્યો છે. આરોપીઓ પાસેથી ગાંજા સહિત વજન કાંટો, PAYTM QR મશીન અને 185 પ્લાસ્ટિકની નાની પનીઓ પણ મળી આવી છે. માફિયાઓ દ્વારા ગાંજાની ડિલિવરી માટે સગીરનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ કેસમાં મુખ્ય આરોપી અને માસ્ટરમાઇન્ડ સંતોષ ઉર્ફે સંતોષ બિહારી સાધુશરણસિંહ રાજપૂત હજી પણ પોલીસ પકડથી દૂર છે અને તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આરોપી સગીરનો ઉપયોગ કરી ગાંજા નેટવર્ક ચલાવતોપોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ગાંજાની હેરાફેરી પાછળનો મુખ્ય સૂત્રધાર સંતોષ ઉર્ફે સંતોષ બિહારી છે, જે સગીરોનો ઉપયોગ કરી ગાંજાની ડિલિવરી કરાવતો હતો. બાળકોને આ નેટવર્કમાં ધકેલીને તે કાયદાકીય કાર્યવાહીથી બચવાનો પ્રયાસ કરતો હતો, જે એક ગંભીર ગુનો છે. પોલીસે પકડેલા આરોપીઓમાં ગુલશન ઉર્ફે ટીંકુ દેવેન્દ્ર પટેલ (ઉં.વ. 29) અને રાજનકુમાર ઉર્ફે છોટુ મનોહરકુમાર ઝા (ઉં.વ. 24)નો સમાવેશ થાય છે. આ બંને આરોપીઓ મૂળ બિહારના રહેવાસી છે. પકડાયેલા આરોપી ગુલશન ઉર્ફે ટીંકુનો ગુનાહિત ઇતિહાસ પણ લાંબો છે, જેમાં આર્મ્સ એક્ટ અને આંગડિયા લૂંટ જેવા ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે. પોલીસે 2.13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યોડીંડોલી પોલીસે આરોપીઓ પાસેથી કુલ 2.286 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે, જેની કિંમત 1,14,300 આંકવામાં આવી છે. આ ઉપરાંત, 0.228 કિલોગ્રામ પોશના ડોડાનો પાઉડર પણ મળ્યો છે, જેની કિંમત 3,420 છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન રોકડા 6,020 , 3 મોબાઇલ ફોન, એક TVS અપાચી મોટરસાઇકલ, વજન કાંટો, PAYTM QR મશીન અને 185 પ્લાસ્ટિકની નાની પનીઓ પણ મળી આવી છે. આ જપ્તી દર્શાવે છે કે, આરોપીઓ નાના પાયે વેચાણ માટે આ જથ્થો રાખતા હતા. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માસ્ટરમાઇન્ડ સંતોષ બિહારીની શોધખોળઆ ગાંજાના નેટવર્કના માસ્ટરમાઇન્ડ સંતોષ ઉર્ફે સંતોષ બિહારીને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. તેની ધરપકડ બાદ જ આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવતો હતો અને આ નેટવર્કમાં અન્ય કોણ કોણ સામેલ છે, તે અંગેની વધુ માહિતી બહાર આવી શકે છે. સગીરોનો ઉપયોગ ડ્રગ્સની હેરાફેરી માટે કરવો તે સમાજ માટે ખૂબ જ ખતરનાક ગણાય છે. પોલીસે આ મામલે સઘન તપાસ શરૂ કરી દીધી છે અને વોન્ટેડ આરોપી સંતોષ બિહારીને વહેલી તકે પકડી પાડવા માટેની કવાયત હાથ ધરી છે. સાથે જ જથ્થો આપનાર અજાણ્યા ઇસમની પણ શોધખોળ ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 5:53 pm

જંબુસરમાં પતિએ પત્નીની હત્યા કરી, બાદમાં ઝેરી દવા ગટગટાવી:સારવારમાં પતિનું પણ મોત, હત્યાનું કારણ જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સામોજ ગામમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અગમ્ય કારણોસર પતિએ પોતાની જ પત્નીની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી નાખી હતી. જે ઘટના બાદ પતિએ પણ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી પતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે. ખેતરમાં કોઈ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરીમળતી માહિતી મુજબ સામોજ ગામમાં રહેતા બુધેસંગ શંકરભાઈ પઢિયારે પોતાની પત્ની ગીતાબેનની ખેતરમાં કોઈ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી દીધી હતી. ગંભીર કૃત્ય બાદ બુધેસંગે ઝેરી દવા ગટગટાવી લીધી હતી, જેના કારણે તેની હાલત ગંભીર બની ગઈ હતી. સ્થાનિક ગ્રામજનો દ્વારા તેને તાત્કાલિક જંબુસર આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો હતો. જોકે, તેને વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું પણ મોત થયું છે. પોલીસે તપાસ હાથ ધરીઘટનાની જાણ થતાં જ વેડચ પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ દ્વારા મૃતક ગીતાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. સાથે જ હત્યા પાછળના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ આરંભી દેવામાં આવી છે. પોલીસ વધુ વિગતો એકત્રિત કરી આગળની કાર્યવાહી કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 5:46 pm

દારૂબંધીનો અમલ કરાવવા કોંગ્રેસનું SPને આવેદન:બેફામ દારૂ-ડ્રગ્સના વેચાણ વિરુદ્ધ કોંગ્રેસ આક્રમક; SPને આવેદનપત્ર પાઠવી, બેફામ રીતે વેચાતો દારૂ બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી.

ગુજરાત જે મહાત્મા ગાંધીજીના મૂલ્યો અને દારૂબંધીના આદર્શોથી પ્રેરિત રહ્યું છે, ત્યાં આજે નશાખોરીના વધતા પ્રશ્ને રાજકારણ ગરમાવ્યું છે. ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સની બેફામ બદીને કારણે યુવાનો નશાખોરીના ખપરમાં હોમાઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે, આજે જુનાગઢ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જુનાગઢ એસપીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કોંગ્રેસે શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં ચાલતા દારૂના બેફામ વેચાણ અને અડ્ડાઓ વહેલી તકે બંધ કરવાની માંગ કરી છે. જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ જણાવ્યું હતું કે, હાલ કોંગ્રેસ પક્ષ દ્વારા ઉત્તર ગુજરાતમાં જન આક્રોશ યાત્રા શરૂ છે. આ યાત્રા દરમિયાન પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા જ્યારે થરાદથી નીકળ્યા, ત્યારે થરાદના મહિલા અગ્રણીઓએ રજૂઆત કરી હતી કે તે વિસ્તારમાં બેફામ દારૂ વેચાય છે. આ વેપલો સ્થાનિક પોલીસની મીઠી નજર હેઠળ ચાલી રહ્યો છે. આ રજૂઆતને ગંભીરતાથી લઈ અમિતભાઈ ચાવડાએ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને તે વિસ્તારમાં મોકલ્યા હતા. જીગ્નેશ મેવાણી દ્વારા દારૂ મામલે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને ભ્રષ્ટ અધિકારીઓની મીઠી નજર હેઠળ ચાલતા દારૂના અડ્ડાઓ તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી ચીમકી ઉચારાઈ હતી.કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, રાજ્યભરમાં અને જુનાગઢ જિલ્લામાં બેફામ દારૂ વેચાય છે, જે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓની મીઠી નજર હેઠળ જ શક્ય બને છે. ગૃહમંત્રીના ટ્વીટ સામે કોંગ્રેસનો આક્રોશ કોંગ્રેસના આ વિરોધ મામલે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવેલા ટ્વીટથી વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. કોંગ્રેસે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ગૃહમંત્રીએ ટ્વીટ કરીને કોંગ્રેસ પક્ષ અને પોલીસ ડિપાર્ટમેન્ટને સામસામે કરવાનું કુચેષ્ટા કરેલ છે, જેના વિરોધમાં આજે જુનાગઢ કોંગ્રેસે આવેદનપત્ર પાઠવ્યું છે.કોંગ્રેસ પક્ષનું સ્પષ્ટ વલણ છે કે, તેઓ તમામ ઈમાનદાર અને નિષ્ઠાવન પોલીસકર્મીઓને હંમેશા બિરદાવે છે અને સલામ કરે છે. પરંતુ જે લોકો લાંચિયા, હપ્તાખોર અને ભ્રષ્ટ છે તેવા વહીવટદારોને ખુલ્લા પાડવાની જનલક્ષી કામગીરી કોંગ્રેસ પક્ષ હંમેશા કરતું રહ્યું છે. ડ્રગ્સ અને દારૂબંધી બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલન રાજ્યભરમાં અને જુનાગઢ જિલ્લામાં ચાલતો દારૂનો વેપલો સદંતર બંધ થવો જોઈએ.ડ્રગ્સનું બેફામ વિતરણ પણ વહેલી તકે બંધ થવું જોઈએ.જો બેફામ રીતે વેચાતા દારૂના અડ્ડાઓ બંધ કરવામાં નહીં આવે, તો કોંગ્રેસ પક્ષ દ્વારા આવનારા સમયમાં જન આક્રોશ સાથે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. કોંગ્રેસ પક્ષ દ્વારા આજે જુનાગઢ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનોની હાજરીમાં આ કડક ચીમકી સાથે જુનાગઢ એસપીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.કોંગ્રેસના આ આંદોલન બાદ પોલીસ તંત્ર દ્વારા દારૂ અને ડ્રગ્સના અડ્ડાઓ પર કેવા પગલાં લેવામાં આવે છે, તેના પર સૌની નજર રહેશે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 5:37 pm

એલ.ડી. એન્જિયરિંગની હોસ્ટેલમાં જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીને માર માર્યો:બહારના કેટલાક વિદ્યાર્થીઓ મોઢે રૂમાલ બાંધીને હોસ્ટેલમાં ઘૂસ્યા, ઇજાગ્રસ્ત યુવકને સારવારમાં લઈ જવાયો

એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થીઓ વચ્ચેની મારામારીનો વીડિયો સામે આવ્યો છે. એલ.ડી. એન્જિયરિંગની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને મારવામાં આવ્યો છે. વિદ્યાર્થી સંગઠન દ્વારા જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. વિદ્યાર્થી સંગઠનના લોકોએ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીને માર મારતા ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. શિક્ષણના ધામમાં મારામારીની ઘટના સામે આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. વિદ્યાર્થી સંગઠનના લોકોએ મોઢે રૂમાલ બાંધીને હોસ્ટેલમાં આવી વિદ્યાર્થીને માર માર્યો હોવાની માહિતી સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ બે દિવસ પેહલા મારામારીની ઘટના બની હતી. જમ્મુ કાશ્મીરના વિધાર્થીઓએ ગુજરાતી સ્ટુડન્ટને માર મારવાનો બદલો લીધો હતો. ABVPના કાર્યકરો દ્વારા જમ્મુના વિધાર્થીઓને માર મારવામાં આવ્યો હતો. બે દિવસ પહેલા થયેલા ઝઘડાને લઈ ABVP મેદાને આવ્યું હતું. સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પહોચ્યો છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.આર. બાવાએ જણાવ્યું કે મારનાર શખ્સોમાં જમ્મુ કાશ્મીના શખ્સો હોવાની પણ શક્યતા છે. કોને અને ક્યાં કારણથી હુમલો કર્યો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.હાલ વિધાર્થીની ફરિયાદ અને નિવેદન નોંધવાની કામગીરી ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 5:36 pm

GPSCની 67 વિભાગમાં 378 જગ્યાઓ પર મેગા ભરતી:આવતીકાલે ઓનલાઈન અરજી કરી શકાશે, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ

ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા લાખો યુવા ઉમેદાવારો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્યના 67 વિવિધ વિભાગમાં કુલ 378 જગ્યાઓ ભરવા માટે મેગા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત બાદ સ્પર્ધાત્મક પરીક્ષા આપતા ઉમેદવારોમાં ખુશીની લાગણી વ્યાપી છે. લાયકાત, પે-સ્કેલ સહિતની તમામ વિગતો વેબસાઈટ ઉપર ઉપલબ્ધGPSC દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ રાજ્યના જુદા જુદા વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ કરાઈ છે. લાયકાત, પે-સ્કેલ, કેટેગરી મુજબના રિઝર્વેશન અને પરીક્ષા સંબંધિત તમામ વિગતો GPSCની સત્તાવાર વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ 13 ડિસેમ્બરઓનલાઈન અરજી કરવાની શરૂઆત આવતીકાલથી થશે. જ્યારે ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ 13 ડિસેમ્બર છે. GPSCએ ઉમેદવારોને અપીલ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા દિવસ સુધી રાહ ન જોતા વહેલી તકે અરજી પૂર્ણ કરી દેવી. જેથી ટેકનિકલ સમસ્યાના કારણે અવરોધ ન આવે. નોટિફિકેશન સંપૂર્ણ રીતે વાંચવું અને લાયકાતની પુષ્ટિ કરવીઅરજી કરતા પહેલા નોટિફિકેશન સંપૂર્ણ રીતે વાંચવું અને લાયકાતની પુષ્ટિ કરવી જરૂરી છે. ભરતી સંબંધિત સંપૂર્ણ માહિતી, સિલેબસ, પસંદગી પદ્ધતિ વગેરે વિગતો GPSC વેબસાઈટ પર મુકવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 5:24 pm

મુન્દ્રામાં પતિએ પત્નીની હત્યા કરી, બાદમાં પોતે આપઘાત કર્યો:પુત્ર જમીનમાંથી નામ કઢાવી નાખશે એવી શંકાએ દંપતી વચ્ચે ઝઘડો, માનસિક બીમારીથી પીડાતા પતિએ ચાકુ મારી પત્નીને પતાવી દીધી

કચ્છના મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામમાં એક કરુણ ઘટના બની છે. જમીન બાબતે દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. જે દરમિયાન માનસિક બીમારીથી પીડાતા પતિએ પોતાની પત્નીની ચાકુ મારી હત્યા કરી દીધી હતી. જે બાદ પોતે પણ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. હાલ પોલીસે સમગ્ર મામલે પ્રાથમિક તપાસ હાથ ધરી છે. જમીન બાબતે ઝઘડામાં પત્ની પર હુમલો કર્યોપ્રાથમિક માહિતી અનુસાર, મુન્દ્રાના ઝરપરામાં રહેતા 70 વર્ષીય સ્વવરાજ સેડા લાંબા સમયથી માનસિક બીમારીથી પીડાતા હતા. ગત રાત્રિના સમયે, જમીન બાબતે દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. પુત્ર જમીનમાંથી નામ કઢાવી નાખશે તેવી શંકા રાખી પતિએ પત્ની સાથે ઝઘડો કર્યો હતો. આ દરમિયાન, સ્વવરાજ સેડાએ અચાનક ચાકુ વડે 65 વર્ષીય પત્ની હીરબાઈ સ્વવરાજ સેડા પર હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર ઈજાઓ થતાં હીરબાઈબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બાવળની ઝાડીમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં પતિનો મૃતદેહ મળ્યોઘટનાની જાણ થતાં જ મુન્દ્રા પીઆઈ રાકેશ ઠુંમરના નેતૃત્વ હેઠળ પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે હત્યા કરીને ફરાર થયેલા પતિની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન, હત્યા સ્થળથી લગભગ 500 મીટર દૂર બાવળની ઝાડીમાંથી સ્વવરાજ સેડાનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મુન્દ્રા સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડ્યા છે. પુત્ર જમીનમાંથી નામ કઢાવી નાખશે તેવી પિતાને શંકા હતી. આવા ખોટા વહેમના કારણે એક પરિવારનો માળો વિંખાયો હતો. ઘટના સમયે દંપતીની દીકરી અને પુત્રવધૂ અન્ય રૂમમાં હતાઃ PIમુન્દ્રા PI રાકેશ ઠુંમરે આ હત્યા અને આત્મહત્યાના બનાવની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે, સ્વવરાજ સેડા માનસિક બીમારીથી પીડાતા હતા અને તેમને એવી શંકા હતી કે, તેમનો પુત્ર તેમને જમીનમાંથી બેદખલ કરી દેશે. આ શંકાને કારણે ગત રાત્રે દંપતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેના ઉશ્કેરાટમાં આવીને સ્વવરાજ સેડાએ પોતાની પત્ની પર ચાકુ વડે હુમલો કર્યો હતો. ઘટના સમયે દંપતીની દીકરી અને પુત્રવધૂ ઘરમાં અન્ય રૂમમાં હાજર હતા, જ્યારે પુત્ર નોકરી પર ગયો હતો. પોલીસે પુત્રની ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 5:17 pm

બોટાદમાં SIR અંગે ભાજપનો કાર્યક્રમ:પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ બોટાદની મુલાકાત લીધી હતી. તેમણે બોટાદ વિધાનસભા વિસ્તારમાં ચાલી રહેલા 'SIR' કાર્યક્રમ અંગે કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. બોટાદના ગુરુકુળ, ગઢડા રોડ ખાતે આયોજિત બેઠકમાં પ્રદેશ અધ્યક્ષે બોટાદ વિધાનસભાના ભાજપ કાર્યકરો અને હોદ્દેદારો સાથે સંવાદ કર્યો હતો. તેમણે કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા અને 'SIR' કાર્યક્રમના અસરકારક અમલ માટે જરૂરી સૂચનો આપ્યા. બેઠક બાદ જગદીશ વિશ્વકર્મા બોટાદના વિવિધ વિસ્તારોના બૂથોની મુલાકાત લેવાના હતા, જેથી 'SIR' કાર્યક્રમ અંતર્ગત બૂથ સ્તરે થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરી શકાય. જોકે, અનિવાર્ય કારણોસર આ મુલાકાત મુલતવી રાખવામાં આવી હતી. બૂથ મુલાકાત રદ થતાં, તેમણે બૂથ વિસ્તારમાં આવેલા કેટલાક કાર્યકરોના ઘરે જઈ તેમની સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન પણ તેમણે 'SIR' કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બોટાદ ખાતે યોજાયેલી આ ભાજપ કાર્યકરોની બેઠક અંગે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલે માહિતી આપી હતી.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 5:08 pm

22 કિમી લાંબી ખારીકટ કેનાલ ડેવલોપમેન્ટના ફેઝ 2ને મંજૂરી:1100 કરોડના ખર્ચે ડેવલપ કરાશે, કેનાલને બંધ કરી તેના પર રોડ બનાવાશે; 50 લાખથી વધુ નાગરિકોને લાભ

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 22 કિલોમીટર લાંબી ખારીકટ કેનાલ ડેવલોપમેન્ટના ફેઝ 2ની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે. નરોડા સ્મશાનગૃહથી SP રિંગ રોડ, વિંઝોલ વહેળાથી ઘોડાસર આવકાર હોલ થઈ વટવાથી રિંગ રોડ સુધી કેનાલને ઢાંકી દેવામાં આવશે. રૂ. 1100 કરોડના ખર્ચે આ કેનાલ ડેવલપ કરવામાં આવશે. કેનાલને બંધ કરી તેના પર રોડ બનાવી દેવામાં આવશે. ખારીકટ કેનાલ ફેઝ 2 ડેવલોપમેન્ટના કારણે પૂર્વ વિસ્તારના નાગરિકોને વડોદરા એક્સપ્રેસ વે જવામાં સરળતા રહેશે. નરોડાથી વિંઝોલ સુધીના 12 કિલોમીટર લાંબા ખારીકટ કેનાલ ફેઝ 1 કામગીરી ચાલુ છે અને 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાની છે ત્યારે હવે ફેઝ 2ની કામગીરી શરૂ થતાં 50 લાખથી વધુ નાગરિકોને લાભ મળશે. પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણતાને આરેઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખારીકટ કેનાલની કુલ લંબાઈ પૈકી નરોડા મુક્તિધામથી વિંઝોલ વહેળા સુધીની કુલ આશરે 12.75 કિમી લંબાઈમાં પ્રથમ તબક્કા હેઠળ કેનાલ ડેવલોપમેન્ટની કામગીરી પૂર્ણતાને આરે છે. 22.41 કિમી લાંબી ખુલ્લી કેનાલને ઢાંકવામાં આવશેપ્રથમ તબક્કાની કામગીરીમાં સામેલ લંબાઈ બાદ બાકી રહેતી એસ.પી.રીંગ રોડથી મુઠીયા ડ્રેઈન થઈ નરોડા મુક્તિધામ સુધી, વિંઝોલ વહેળાથી ઘોડાસર આવકાર હોલ થઈ વટવા ગામ થઈ એસ.પી.રીંગ રોડ સુધી તથા વટવા ગામથી રોપડા તળાવ થઈ ખારીનદી સુધીનાં એક્ષટેન્શન સાથે કુલ મળી આશરે 22.41 કિમી લાંબી ખુલ્લી કેનાલને ઢાંકવામાં આવશે. આર.સી.સી. બોક્ષ સ્ટ્રક્ચરનું બાંધકામ કરી તેનાં પરથી રસ્તો બનાવાશેકેનાલમાં ઉપલબ્ધ પહોળાઈ મુજબ અમુક હિસ્સામાં આર.સી.સી. સ્ટોર્મ વોટર બોક્ષ સહિત કેનાલ બોક્ષ સ્ટ્રક્ચર, અમુક હિસ્સામાં માત્ર કેનાલ બોક્ષ સ્ટ્રક્ચર અને અમુક હિસ્સામાં માત્ર સ્ટોર્મ વોટર કેનાલ બોક્ષ સ્ટ્રક્ચરમાં આર.સી.સી. બોક્ષ સ્ટ્રક્ચરનું બાંધકામ કરી તેનાં પરથી રસ્તો બનાવવામાં આવશે. 8 ભાગમાં 8 જગ્યા પર કામગીરી થશેજેના માટેની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલી હતી. જેનો અંદાજિત ખર્ચ રૂ. 979 કરોડ થતો હતો. ટેન્ડરમાં 9 જેટલા બિડર સામેલ થયા હતા. કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડ - ફુજી સિલ્વર ટેક કોંક્રિટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અંદાજિત ઓછા ભાવ રૂ. 829.92 કરોડનો ભાવ ભરવામાં આવ્યો હતો. કન્સલટન્ટ દ્વારા પ્રૂફ ચેકીગ, ડિઝાઇન કન્સલ્ટન્ટ અને પીએમસી કંપની સહિતનો કુલ 1061 કરોડનો ખર્ચ થશે. કુલ 8 ભાગમાં કામગીરી કરવામાં આવશે. અલગ અલગ 8 જગ્યા પર કામગીરી થશે. ફેઝ-2માં કયો વિસ્તાર ડેવલોપ થશે? આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 5:05 pm

લગ્નમંડપમાં તમાશો કરતાં જાન લીલા તોરણે પાછી ફરી:યુવતીને તેની શિક્ષક મિત્રએ પરિણીત શિક્ષક પાસે મોકલી જાળમાં ફસાવી; દુષ્કર્મ બાદ ન્યૂડ ફોટા વાઇરલ કરવાની ધમકી આપી 4 લાખ પડાવ્યા

રાજકોટમાં ભદ્ર સમાજમાં એક એવી ઘટના બની જેને શહેરભરમાં ચકચાર મચાવી દીધી છે. યુવતીને તેની જ શિક્ષક મિત્રએ પોતાના શિક્ષક મિત્ર સાથે મળી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. આ પછી સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શખ્સે યુવતી અને પોતાની કોમન મિત્રના ઘરે અવારનવાર બોલાવી બાદમાં શરીરસબંધ બાંધી તેના ફોટા-વીડીયો બનાવી લીધા હતાં. આ પછી તેને વાઇરલ કરી દેવાની ધમકી આપી મારમારી કટકે-કટકે રૂપિયા 4.25 લાખ પડાવ્યા હતા. એટલું જ નહિ 23 નવેમ્બરે યુવતીના લગ્ન હતા અને જાન માંડવે આવી પહોંચી હતી. આ દરમિયાન બન્ને શિક્ષકે કાવતરું રચી યુવતીના મંગેતરને ધમકી આપી લગ્ન ન કરવાનું કહેતા જાન લીલા તોરણે પરત ફરી હતી. યુવતીના લગ્ન થાય એ પહેલા સગપણ તૂટી ગયું હતું. આ બનાવ અંગે યુવતીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવલી ફરિયાદમાં આરોપી તરીકે માધાપર ચોક પાસે રહેતા મુકેશ રવજીભાઈ સોલંકી અને સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોક પાસે રવિ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 201માં રહેતા પ્રીતિ ઘેટીયાના નામ આપ્યા છે. જે ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે BNS કલમ 64(2), એમ,308(2), 351(3), 115(2), 61(2) મુજબ ગુનો નોંધી આરોપી પ્રીતિ ઘેટીયાની ધરપકડ કરી ફરાર શિક્ષકની શોધખોળ તપાસ હાથ ધરી છે. શિક્ષકે અપરિણીત હોવાનું કહી યુવતીને પ્રમજાળમાં ફસાવીઆ બનાવની વિગત એવી છે કે, ભોગ બનનાર યુવતીને શિક્ષિકા પ્રીતિ ઘેટીયા સાથે સંપર્ક થયો હતો. જે બાદ પ્રીતિએ શિક્ષક મુકેશ સોલંકી સાથે ઓળખાણ કરાવી હતી. પ્રીતિ અને મુકેશ બન્ને સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતાં. આ પછી મુકેશ સાથે મિત્રતા આગળ વધતા બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ સમયે શિક્ષક મુકેશ સોલંકીએ પોતે અપરિણીત હોવાનું જણાવી તેની મિત્ર પ્રીતિના ઘરે અવારનવાર મુલાકાત કરી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. દુષ્કર્મ આચર્યા બાદ આરોપી યુવતીને માર પણ મારતો હતોયુવતીને લંપટ શિક્ષક સાથે મિત્રતા થયાના બે-ત્રણ મહિના પછી શિક્ષક પરિણિત હોવાની જાણ થઇ હતી. દુષ્કર્મ આચરી યુવતીના ન્યૂડ ફોટા-વીડિયો બનાવી તેને વાઇરલ કરવા અને બદનામ કરવાની ધમકી આપી કટકે-કટકે રૂ.4.25 લાખ પડાવ્યા હતા. એટલું જ નહિ આરોપી લંપટ શિક્ષક મુકેશ સોલંકી ચાર્જિંગ વાયર અને પટ્ટા વડે યુવતીને માર પણ મારતો હતો. શિક્ષિકા અને શિક્ષકે યુવતીના લગ્ન મંડપમાં આવી ધમકીઓ આપીગત 23 નવેમ્બરના રોજ યુવતીના લગ્ન હતા, આ દરમિયાન આરોપી મુકેશ અને પ્રીતિએ ગુનાહિત કાવતરું રચી લગ્ન સ્થળ પર પણ આ બન્ને પહોંચી પ્રથમ ભોગબનનાર યુવતીને મળ્યા હતાં. બાદમાં તેના મંગેતર અને તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી તેના લગ્ન રોકાવ્યા હતાં. અંતે કંટાળી યુવતીએ આ મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપી મુકેશ સોલંકી અને પ્રીતિ ઘેટીયા વિરુદ્ધ ફરિયાદ નોંધી આરોપી પ્રીતિ ઘેટીયાની ધરપકડ કરી ફરાર મુખ્ય આરોપી લંપટ શિક્ષકની શોધખોળ હાથ ધરી છે. આરોપીઓએ અન્ય યુવતીને ફસાવી છે કે કેમ? તેની તપાસઉલ્લેખનીય છે કે, મુકેશ સોલંકી પડધરી તાલુકાના રોહીશાળા ગામ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવે છે, જ્યારે પ્રીતિ ઘેટીયા મોરબી જિલ્લામાં સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હોવાનું સામે આવ્યું છે. જો કે, બન્ને શિક્ષકે અન્ય કોઈ યુવતીને આ રીતે પોતાની જાળમાં ફસાવી છે કે કેમ? તેમજ અન્ય કોઈ શખસોની સંડોવણી છે કે કેમ? સહિતની દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 5:00 pm

મેન્યુઅલ સ્ક્વેન્જિંગ મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી:બોપલમાં બે કામદારોના મોત મામલે પ્લમ્બર સામે FIR પણ બિલ્ડર સામે નહીં, હાઇકોર્ટે અરજદાર પાસે કાનૂની કાર્યવાહી સિવાયના પગલા અંગે પૂછ્યું

ગુજરાત હાઇકોર્ટમાં માનવ ગરીમા સંસ્થા દ્વારા વર્ષ 2016 માં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં ગટર સફાઈ કામદારોના મોતના કેસમાં તેના પરીવારજનોને વળતર ચૂકવવા, મેન્યુઅલ સ્કેવેંજીગ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ અને આવા કિસ્સાઓમાં અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની દાદ માંગવામાં આવી હતી. આ અરજીના પગલે જ મૃતકોના પરિજનોને વળતર ચૂકવાઈ ગયું છે, તો જવાબદાર સ્થાનિક ઓથોરિટીના અધીકારીઓ ઉપર આવા બનાવવામાં ફરિયાદ નોધાઇ રહી છે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની મશીનરી લાવશેહાઇકોર્ટમાં આ અંગે આજે આ મુદ્દે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં સરકારી વકીલે કહ્યું હતું કે, મશીનરી આવી ગયા બાદ કોન્ટ્રાક્ટ દ્વારા માણસો તેને ચલાવશે, પરંતુ મશીનરી ઓથોરિટી હસ્તક રહેશે. રાજ્યની ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની મશીનરી લાવશે. માર્ચ મહિના સુધીમાં તમામ મશીનરી મળી જશે. ત્યાં સુધીમાં કોન્ટ્રાકટર મશીનરી લાવશે અને ગુજરાત અર્બન ડેવલેન્ટ કંપની સાથે કોન્ટ્રાક્ટ કરશે, એટલે કે PPP મોડ ઉપર કામ ચાલશે. બે કામદારોના મૃત્યુ મામલે પ્લમ્બર સામે FIR પણ બિલ્ડર સામે નહીંઅરજદારે જણાવ્યું હતું કે, અમદાવાદના બોપલમાં મેન્યુઅલ સ્ક્વેન્જિંગ કરતા બે લોકોના મોત મુદ્દે FIR પ્લમ્બર સામે થઈ છે. પરંતુ બિલ્ડરે પ્લમ્બરને રાખ્યો હતો અને પ્લમ્બરે બે માણસોને રાખી મેન્યુઅલ સ્કેવેનજિંગ કરાવ્યું હતું. હાઇકોર્ટે પ્લમ્બરનું નિવેદન લેવાયા બાદ આ અંગે આગળ જોવા કહ્યું હતું. સરકારી વકીલે કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ મેન્યુઅલ સ્કેવેનજિંગ કરાવી શકે નહીં. સ્થાનિક ઓથોરિટીને ડ્રેનેજ સફાઈ માટે કોઈ જાણ નહીં કરીને જાતે કામ કર્યું હતી. હાઇકોર્ટે પૂછ્યું હતું કે આવા વ્યક્તિઓ સામે FIR સિવાય નિયમો કે કાયદામાં પગલાની જોગવાઈ છે? આ મુદ્દે વધુ સુનાવણી 19 ડિસેમ્બરે યોજાશે. છેલ્લા ત્રણ વર્ષમાં કઈ પ્રોગ્રેસ દેખાતી નથીઅગાઉ એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે, સ્થાનિક ઓથોરિટી PPP મોડથી કામ ચાલુ કરવા જઈ રહી છે. જેમાં પ્રાઇવેટ માણસો મશીનરી પ્રોવાઇડ કરશે. કોર્ટે કહ્યું હતું કે હજુ સ્થાનિક સંસ્થાઓ પાસે મશીનો ઓછા છે, છેલ્લા ત્રણ વર્ષમાં કઈ પ્રોગ્રેસ દેખાતી નથી. કોર્ટને જણાવાયું હતું કે, અમદાવાદ ઝોનને ડ્રેનેજ સફાઈ માટે 3 ઓટોમેટિક મશીન મળશે. કંપની મશીનરી વાપરશે અને ઓપરેટ પણ કરશે. જેથી કોર્ટે કહ્યું હતું કે આ પણ એક પ્રકારનો કોન્ટ્રાક્ટ જ થયો ને! સોસાયટી જાતે માણસને બોલાવીને મેન્યુઅલ સ્કેવેન્જિંગ કરાવી શકે નહીંકોર્ટને જણાવાયું હતું કે, 10 મેનહોલ ક્લિનિંગ રોબોટ મેળવાયા છે. જે 6 મ્યુનિસિપલ ઝોનમાં કામ કરશે. 209 મશીનનો ઓર્ડર અપાયો છે. અરજદારે જણાવ્યું હતું કે, છેલ્લી સુનાવણી બાદ અમદાવાદના બોપલમાં મેન્યુઅલ સ્ક્વેન્જિંગથી બે લોકો માર્યા ગયા છે. અધિકારીની જગ્યાએ પ્લમ્બરને આરોપી બનાવાયો છે. હાઇકોર્ટે આ બાબત એડિડેવિટ ઉપર આપવા કહી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે સોસાયટી જાતે માણસને બોલાવીને મેન્યુઅલ સ્કેવેન્જિંગ કરાવી શકે નહીં. આ કામ કોર્પોરેશનનું છે.તેને યોગ્ય પધ્ધતિથી કામ કરવાની ખબર હોય. આ એક સામાજિક પ્રશ્ન છે, સમાજમાં જાતિ વ્યવસ્થાને લઈને માનસિકતા બદલાવાની જરૂર છે. લોકોને જાગરૂક કરવાની જરૂર છે. શહેરોમાં સક્શન કમ જેટિંગ મશીનનો ઉપયોગ કરાશેમહત્વનું છે કે, રાજ્યની મહાનગરપાલિકાઓમાં હવે ગટર સફાઈ માટે હવે મશીન અને રોબોટનો ઉપયોગ કરાશે. રાજ્યના મોટા શહેરોમાં સક્શન કમ જેટિંગ મશીનનો ઉપયોગ કરાશે. અમદાવાદમાં ઝોનમાં ત્રણ મશીન તૈનાત કરાયા છે. ભાવનગરમાં ત્રણ મશીન તૈનાત કરાયા છે. ગાંધીનગરમાં બે મશીન તૈનાત કરાયા છે. રાજકોટમાં ચાર, સુરતમાં બે અને વડોદરામાં ત્રણ મશીન તૈનાત કરાયા છે. હાલ રાજ્યના મોટા શહેરો માટે 17 મશીનોની ઉપલબ્ધ છે. 40 મેન હોલ ક્લિનિંગ રોબોટનો ઓર્ડર અપાયો છે. 10 મેન હોલ ક્લિનિંગ રોબોટ હાલ કાર્યરત છે. અમરેલી, આણંદ, ગોધરા, ભરૂચ, દ્વારકા, ભુજ, મોરબી, હિંમતનગર ડીસા અને સુરેન્દ્રનગરમાં આ રોબોટની ફાળવણી કરાઈ છે. 17 જેટિંગ મશીન 100 સ્થાનિક ઓથોરિટી આપવામાં આવશેઅગાઉની સુનાવણીમાં એડવોકેટ જનરલે સ્થાનિક ઓથોરિટી પાસે ગટર સફાઈના કેટલા સાધનો છે અમે કેટલા ખરીદવામાં આવનાર છે, તેનો પ્રોગ્રેસ રિપોર્ટ રજુ કર્યો હતો. જે મુજબ 16 જેટિંગ સક્શન મશીન અને 24 ડિસિલ્ટિંગ મશીન 16 સ્થાનિક ઓથોરિટીને આપવામાં આવ્યા છે. 209 મશીન મેળવવા ઓર્ડર અપાયો છે. જેમાં 59 જેટિંગ કામ સક્શન મશીન, 133 ડિસિલ્ટિંગ મશીન અને , 17 જેટિંગ મશીન 100 સ્થાનિક ઓથોરિટી આપવામાં આવશે. ઓથોરિટી નાની વસ્તુઓ વસાવી, મોટી અને કામની વસ્તુઓ નહીં!આગામી માર્ચ, 2026 સુધીમાં આ મશીનોની ડિલિવરી મળી જશે. અમદાવાદ, ભાવનગર, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરાની સ્થાનિક ઓથોરિટી પાસે જે મશીનો છે તેના સર્ટિફિકેટ અપાયા છે. જેટિંગ મશીન અને હાઇડ્રોલિક ડોલ મંગાવ્યા છે. જે ઓથોરિટી પાસે જરૂરી મશીન નથી તે બીજી નજીકની MNC પાસેથી ઉધાર મંગાવે છે. વળી અરજદારે જણાવ્યું હતું કે, ઓથોરિટી નાની નાની વસ્તુઓ વસાવી છે, મોટી અને કામની વસ્તુઓ નહીં! ગટર સફાઈનું કામ કોન્ટ્રાકટરને સોંપે છેહાઇકોર્ટે કહ્યું હતું કે, નાની મ્યુનિસિપાલિટી પાસે જરૂરી મશીનો હોવા જ જોઈએ. જે મહાનગરપાલિકાઓ કે નગરપાલિકાઓ ગટર સફાઈનું કામ કોન્ટ્રાકટરને સોંપે છે. પરંતુ બધું કોન્ટ્રાકટર ઉપર ઢોળી ના દેવાય, કોન્ટ્રાક્ટરન વર્કને કોણ મોનીટર કરશે ? સરકારી ઓથોરિટી પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. સરકારી વકીલે જણાવ્યું હતું કે હાઈકોર્ટના આદેશ મુજબ આ કામ નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે. દર ત્રણ મહિને કામગીરીનો રીપોર્ટ મંગાવાય છે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 4:57 pm

પેંડા ગેંગ બાદ મૂર્ઘા ગેંગ સામે ગુજસીટોક હેઠળ ફરિયાદ:સમીર ઉર્ફે મૂર્ઘો સહીત 21 આરોપીઓ સામે ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી

પેંડા ગેંગ બાદ બાદ હવે મુર્ઘા ગેંગ બાદ ગુજસીટોક હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપી સમીર ઉર્ફે મૂર્ઘો સહીત 21 આરોપીઓ સામે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાજકોટમાં ગત 29 ઓક્ટોબરના રોજ મંગળા રોડ પર બન્ને ગેંગના સભ્યો દ્વારા સામસામે અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ફાયરિંગ કેસમાં સંડોવાયેલ મુખ્ય આરોપી સંજય ઉર્ફે સંજલો હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ગત 9 નવેમ્બરના રોજ પેંડા ગેંગના 17 સભ્યો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જે તમામ આરોપીઓ હાલ ગુજરાતની અલગ અલગ જેલમાં બંધ છે. બન્ને ગેંગ વચ્ચે 10 મહિનાથી ચાલી રહી છે ગેંગવોર​​​​​​​મકરસંક્રાંતિના દિવસે ગોકુલધામ વિસ્તારમાં જંગલેશ્વરનો સોહેલ પોતાની ગર્લફ્રેન્ડ સાથે નીકળ્યો હતો ત્યારે પેંડા ગેંગના સાગરીતો પરેશ ઉર્ફે પરીયો, યાસીન ઉર્ફે ભુરો, મેટીયો ઝાલા સહિતનાઓએ સોહેલની ગર્લફ્રેન્ડનો હાથ પકડી બિભત્સ માંગણી કરી તું અમારી સાથે આવ કહી સોહેલ પર હુમલો કર્યો હતો જે હુમલામાં સોહેલને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો અને પેંડા ગેંગ સામે ગુનો નોંધવામાં આવ્યા બાદ જેલમાં ધકેલાયા હતાં. જેલમાંથી પરેશ બહાર આવતા બદલો લેવા મૂર્ઘા ગેંગે તેના પર ફાયરીંગ કર્યુ હતું અને આ પછી પરેશ ઉર્ફે પરિયો ગઢવી દ્વારા 15 ઓગસ્ટના રોજ શાહનાવઝ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું આમ છેલ્લા 10 મહિનાથી બંને ગેન વચ્ચે ત્રણ-ત્રણ વખત સામસામે ફાયરિંગની ઘટના બનવા પામી છે જેથી પોલીસ દ્વારા પેંડા ગેંગના 17 આરોપીઓ વિરુધ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 4:57 pm

હરણી બોટ દુર્ઘટના કેસમાં ઇન્સ્યોરન્સ કંપનીને હાઈકોર્ટની નોટિસ:કોટિયાએ કોર્ટ સમક્ષ રજૂઆત કરવી પડશે કે સબ કોન્ટ્રાકટર ડોલ્ફિન અને ટ્રાય સ્ટાર પીડિતોને વળતર ચૂકવવા કેવી રીતે જવાબદાર

ગુજરાત હાઈકોર્ટમાં વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે સુઓમોટો પિટિશન ઉપર સુનાવણી ચાલી રહી છે. જેમાં વર્તમાનમાં આ દુર્ઘટનામાં પીડિતોને વળતર ચૂકવવા ઉપર ચર્ચા ચાલી રહી છે. અગાઉ હાઈકોર્ટે MACPની જોગવાઈ મુજબ વડોદરા જિલ્લા કલેકટરને ગણતરી કરીને મૃતકો તેમજ ઈજાગ્રસ્તોના પરિવારને કોટિયા પ્રોજેક્ટ દ્વારા ચૂકવવા પાત્ર થતી રકમ નક્કી કરવા હુકમ કર્યો હતો. કેટલાક મુદ્દાને લઈને કોટિયા પ્રોજેક્ટ સુપ્રીમ કોર્ટ ગયું હતું. જેમાં સુપ્રીમના આદેશ મુજબ જેટલી રકમ સરકારે વળતર તરીકે ભેગી કરી છે. તેને પીડિત પરિવારમાં વહેંચવા જણાવ્યું હતું. જે કાર્ય ઓથોરિટીએ પૂર્ણ કર્યું છે. ત્રણ પક્ષકારોની માહિતી રેકોર્ડ પર આપવા હુકમ કર્યો હતોજવાબદારીના કિસ્સામાં કોટિયા પ્રોજેક્ટ દ્વારા હરણી તળવામાં બોટિંગના જોઇન્ટ વેન્ચર પાર્ટનર અને ઇન્સ્યોરન્સ કંપનીને હાઇકોર્ટમાં ચાલી રહેલ જાહેર હિતની અરજીમાં જોડવા સુપ્રીમ કોર્ટમાં માગ કરી હતી. જે અંગે સુપ્રીમે જરૂરી નિર્દેશો આપ્યા છે. હાઇકોર્ટમાં કોટિયા પ્રોજેક્ટ તરફથી ત્રણ પક્ષકારોને જોડવા અરજી કરાઈ છે. પરંતુ હાઇકોર્ટે આ ત્રણ પક્ષકારો કયા છે? તેની માહિતી રેકોર્ડ ઉપર આપવા કોટિયા પ્રોજેક્ટને હુકમ કર્યો હતો. ઇન્સ્યોરન્સ કંપનીને પક્ષકાર તરીકે જોડવા મંજૂરી આપી હતીઆ હુકમ સંદર્ભે કોટિયા પ્રોજેક્ટ દ્વારા હાઇકોર્ટને જણાવાયું હતું કે, હરણી તળાવમાં બોટિંગ પ્રવૃતિ ચલાવવા ત્રણ પાર્ટી એગ્રીમેન્ટ કરાયો હતો. જેમાં કોટિયા, ટ્રાઇ સ્ટાર એન્ટર પ્રાઈઝ અને ડોલ્ફિન એન્ટરટેનમેન્ટ જોઇન્ટ પાર્ટનર છે. તેનો એગ્રીમેન્ટ ડેટ 8 જૂન, 2023 એ થયો હતો. કોટિયાને હરણી તળાવનો કોન્ટ્રાક્ટ મળ્યા પછી કોટિયાએ બોટિંગ પ્રવૃતિ માટે સબ કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જે VMC અને કોટિયા પ્રોજેક્ટ વચ્ચે થયેલા કોન્ટ્રાક્ટ મુજબ પરમિસિબલ છે. જોકે, હાઇકોર્ટે ઓરિજનલ કોન્ટ્રાક્ટ મુજબ સબ કોન્ટ્રાક્ટ આપવો પરમિસિબલ છે કે કેમ તે અંગે વડોદરા મહાનગરપાલિકાની એફિડેવિટ માગી હતી. સાથે જ આ તળાવ પ્રોજેક્ટની ઇન્સ્યોરન્સ કંપની યુનાઈટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીને પક્ષકાર તરીકે જોડવા મંજૂરી આપી હતી. શું કોટિયાએ ટ્રાયપાર્ટી એગ્રીમેન્ટ રજિસ્ટર્ડ કર્યો હતો?જેમાં VMCએ એડિડેવિટ રજૂ કરી હતી કે, કોટિયાએ સબ કોન્ટ્રાક્ટ માટે મંજૂરી માગી નથી કે VMC એ આપી નથી. હાઇકોર્ટે પૂછ્યું હતું કે શું કોટિયાએ ટ્રાયપાર્ટી એગ્રીમેન્ટ રજિસ્ટર્ડ કર્યો હતો? જેનો જવાબ ના મળ્યો હતો. હાઇકોર્ટે કોટિયા પ્રોજેક્ટને મળેલા કોન્ટ્રાક્ટમાં સબ કોન્ટ્રાક્ટ આપવાની મંજૂરી છે કે કેમ? કોટિયાએ જણાવ્યું હતું કે, બોટિંગ પ્રવૃતિ જોઇન્ટ વેન્ચર પાર્ટનર કરતા હતા. કોટિયા, ડોલ્ફિન અને ટ્રાય સ્ટાર રેવન્યુ શેરિંગ કરતા હતા. અમે 25 ટકા વળતરની રકમ ભરી છે. વળતર માટે સબ કોન્ટ્રેક્ટરને જવાબદાર કેવી રીતે ગણવા?કોર્ટે કહ્યું હતું કે, કોન્ટ્રાક્ટ તમારા વચ્ચેનો હતો. જેમાં વળતર માટે સબ કોન્ટ્રેક્ટરને જવાબદાર કેવી રીતે ગણવા તે જણાવો. 25 ટકા બાદ બાકીની રકમ બીજા ભરે તે કેવી રીતે સબિત કરશો? જ્યારે VMCએ કહ્યું છે કે તેમની કોઈ મંજૂરી સબ કોન્ટ્રાક્ટ માટે લેવાઈ નથી. આખરે હાઇકોર્ટે કોટિયાને વધુ રજૂઆતની તક આપીને ઇન્સ્યુરન્સ કંપનીને જવાબ રજૂ કરવા નોટિસ આપી છે. આ અંગે વધુ સુનાવણી 16 જાન્યુઆરીએ યોજાશે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 4:48 pm

7 વર્ષથી નાસતો ફરતો આરોપી બીમાર પિતાને મળવા આવતાં ઝડપાયો:સુરત, રાજકોટ અને જામનગરમાં 84 લાખની છેતરપિંડી કરી, ઋષિકેશમાં ‘કિશનગીરી મહારાજ’ બનીને છુપાયો'તો

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે સુરત, રાજકોટ અને જામનગર સહિત ગુજરાતના અનેક શહેરોમાં 84 લાખની આર્થિક છેતરપિંડી આચરીને છેલ્લા 7 વર્ષથી પોલીસને થાપ આપી રહેલા એક રીઢા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. નવાઈની વાત એ છે કે, આ આરોપી પોલીસથી બચવા માટે સંસારી જીવન છોડીને સાધુ બની ગયો હતો અને ઋષિકેશના આશ્રમમાં ‘કિશનગીરી મહારાજ’ બનીને રહેતો હતો. ઉધનામાં ઓફિસ ખોલીને છેતરપિંડી કરી હતીવર્ષ 2015 દરમિયાન કાંતિલાલ રણછોડ તાડા નામના શખ્સે તેના ભાગીદાર ભરત જરીવાલા સાથે મળીને સુરત અને સૌરાષ્ટ્રના લોકોને ટાર્ગેટ બનાવ્યા હતાં. આરોપીએ સુરતના કતારગામ વિસ્તારમાં લલીતા ચોકડી પાસે આવેલા જમનાબા કોમ્પલેક્ષમાં અને ઉધનામાં ઓફિસો ખોલી હતી. તેણે ‘કે.પટેલ એન્ડ એસોસીયેટ’ તથા ‘કે.પટેલ માઇક્રો ફાઇનાન્સ’ નામની કંપનીઓ શરૂ કરી હતી. લોભામણી સ્કીમો અને ઈનામી ડ્રોની લાલચ આપી લોકોને ફસાવતોઆ કંપનીઓના નામે આરોપીઓએ ભોળા નાગરિકોને લોભામણી સ્કીમો અને ઈનામી ડ્રોની લાલચ આપી હતી. લોકો પાસેથી પૈસા ઉઘરાવીને રાતોરાત ગાયબ થઈ જવાના ઈરાદે તેણે સુરત ઉપરાંત રાજકોટ, જામનગર, કીમ, નવસારી, વીરપુર, લુણાવાડા, ડભોઈ, દેરોલ, હાલોલ, ઘોઘંબા, સાવલી, આણંદ, સલાયા, અંજાર-કચ્છ અને જૂનાગઢ જેવા અનેક શહેરોમાં પોતાની બ્રાન્ચો શરૂ કરી દીધી હતી. 55,000 રૂપિયા પરત આપવાની લાલચે લોકો ફસાયાઆરોપી કાંતિલાલ તાડાએ લોકોને છેતરવા માટે એક વ્યવસ્થિત માળખું તૈયાર કર્યું હતું. તેની સ્કીમની વિગતો ચોંકાવનારી છે, આ યોજના 40 મહિના માટેની હતી. જેમાં સભ્યોએ દર મહિને 1,100 રૂપિયા ભરવાના રહેતા હતા. દર મહિને ડ્રો કરવામાં આવતો હતો. જે સભ્યનું નામ ડ્રોમાં નીકળે તેને ‘સ્પ્લેન્ડર પ્લસ’ મોટર સાયકલ અથવા 54,000 રૂપિયા રોકડા આપવામાં આવતા હતા. જો કોઈ સભ્યનું ઈનામ ન લાગે તો મુદત પૂરી થયે ભરેલા પૈસા વ્યાજ સહિત એટલે કે 55,000 રૂપિયા પરત આપવાની લાલચ આપવામાં આવતી હતી. આ સ્કીમમાં તેણે 500 જેટલા મેમ્બરો બનાવ્યા હતા. 84 લાખનું ફુલેકું ફેરવીને આરોપી કાંતિલાલ તાડા ગાયબ થયોઆ ઉપરાંત 1 વર્ષ, 2 વર્ષ અને 5 વર્ષના સમયગાળા માટે 0 થી 15% વ્યાજ આપવાની લાલચ આપી ફિક્સ ડિપોઝિટ અને બચત યોજનાઓ પણ ચલાવવામાં આવતી હતી. આ રીતે લાખો રૂપિયા ઉઘરાવીને, અંદાજિત 84,00,000 રૂપિયાનું ફુલેકું ફેરવીને કાંતિલાલ તાડા અચાનક ગાયબ થઈ ગયો હતો. લોકોએ જ્યારે ઓફિસનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ઓફિસો બંધ મળી હતી અને આરોપીનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો. આ અંગે સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2018 માં ગુનો નોંધાયો હતો. ઋષિકેશમાં ‘કિશનગીરી મહારાજ’ બનીને છુપાયો હતોછેતરપિંડી આચર્યા બાદ કાંતિલાલ તાડાએ પોલીસથી બચવા માટે માસ્ટર પ્લાન બનાવ્યો હતો. તે ગુજરાત છોડીને સીધો ઉત્તરાખંડના ઋષિકેશ પહોંચી ગયો હતો. ત્યાં તેણે પોતાની ઓળખ સંપૂર્ણપણે બદલી નાખી હતી. કાંતિલાલ તાડા મટીને તે ‘સ્વામી કિશનગીરી મહારાજ’ બની ગયો હતો. તેણે ભગવા વસ્ત્રો ધારણ કરી લીધા હતા અને સાધુ જેવો વેશ ધારણ કરી મુનિ કી રેતી વિસ્તારમાં આવેલા સ્વામીનારાયણ આશ્રમમાં છુપાઈને રહેવા લાગ્યો હતો. છેલ્લા 7 વર્ષથી તે પોતાના પરિવાર કે સંબંધીઓના સંપર્કમાં નહોતો અને સાધુ તરીકેનું જીવન જીવી રહ્યો હતો જેથી પોલીસ તેને પકડી ન શકે. પિતાની બીમારી અને વતનમાં વાપસીથી ઝડપાયોકહેવાય છે કે ગુનેગાર ગમે તેટલો શાણો હોય, એક ભૂલ તેને પકડાવી દે છે. કાંતિલાલના પિતાને કેન્સરની ગંભીર બીમારી હતી. સાધુ બની ગયેલા કાંતિલાલને પિતાની તબિયત વધુ લથડી હોવાના સમાચાર મળતા તે રહેવાઈ શક્યો નહીં. તે ઋષિકેશથી ગુજરાત પરત આવ્યો. જોકે, પોલીસ પકડના ડરથી તે પોતાના મૂળ વતન જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના નિકાવા ગામે જવાને બદલે રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના નગરપીપળીયા પાસે આવેલા ‘જોગમઢી આશ્રમ’માં રોકાયો હતો. તે અહીં છુપાઈને પિતાની સારવાર અને ખબરઅંતર પૂછવા માંગતો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચે રાજકોટથી દબોચ્યોક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને બાતમી મળી હતી કે વોન્ટેડ આરોપી રાજકોટના એક આશ્રમમાં છુપાયેલો છે. બાતમી ચોક્કસ હતી કે કાંતિલાલ તાડા સાધુના વેશમાં છે. આ માહિતીના આધારે પોલીસની એક ટીમે રાજકોટના નગરપીપળીયા ખાતેના જોગમઢી આશ્રમમાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી સાધુના વેશમાં રહેલા 53 વર્ષીય કાંતિલાલ ઉર્ફે કિશનગીરી રણછોડ તાડાને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહીપકડાયેલા આરોપી કાંતિલાલ વિરુદ્ધ પૈસાની લાલચ આપી મધ્યમ વર્ગના લોકોની મહેનતની કમાણી લૂંટીને સાધુ બની ગયેલા આ ગઠિયાનો ખેલ આખરે 7 વર્ષે પૂરો થયો છે. હાલ સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીનો કબ્જો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 4:46 pm

રાજકોટમાં 69310 મૃત મતદારો:શહેર - જિલ્લામાં SIR અંતર્ગત 4.55 લાખ મતદારોના ફોર્મ અપલોડ કરવા આડે 6 જ દિવસ બાકી

રાજકોટ શહેર અને જિલ્લામાં હાલ SIR અંતર્ગત ખાસ મતદાર યાદી સુધારણા ચાલી રહી છે. 4 ડિસેમ્બર સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાની છે જ્યારે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં માત્ર 80% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને હવે 6 દિવસ જ બાકી છે ત્યારે સમગ્ર વહીવટી તંત્ર આ કામગીરી પૂર્ણ કરવા માટે ઉંધા માથે થયુ છે. 29 અને 30 નવેમ્બર વિધાનસભા વાઇસ ખાસ કેમ્પ રાખવામાં આવ્યો છે. આ સાથે જ મહત્વની વાત એ છે કે અત્યારસુધીમાં રાજકોટ શહેર અને જિલ્લામાં 69310 મૃત મતદારો મળી આવ્યા છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, રાજકોટ શહેર અને જિલ્લામાં SIR ની ઓલ અવર 80.95 ટકા કામગીરી થઈ છે. જેમાં સૌથી સારી કામગીરી જસદણ વિધાનસભા મતવિસ્તારમાં થઈ છે. જ્યાં અત્યારસુધીમાં 93.04 ટકા છૂટી છે જ્યારે બીજા ક્રમે 87.13 ટકા સાથે ધોરાજી છે. જ્યારે રાજકોટ પૂર્વમાં સૌથી ઓછી 73.53 ટકા કામગીરી થઈ છે. ગ્રામ્ય વિસ્તારની સાપેક્ષમાં શહેરમાં મતદારો મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં ઓછો સહયોગ આપતા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ જિલ્લામાં કુલ 23,91,027 મતદારો છે. જેમાંથી 19,35,491 ના ફોર્મ ડિજિટલાઈઝ એટલે કે ઓનલાઇન ચડાવી દેવામાં આવ્યા છે. હજુ 4,55,536 મતદારોના ફોર્મ મેળવી ઓનલાઈન અપલોડ બાકી છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 69,310 મૃત મતદારો મળી આવ્યા છે. જે બતાવે છે કે આ વર્ષે ચૂંટણી પરિણામો ચોક્કસ અને પારદર્શક આવશે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 4:40 pm

મોવાણાથી અગતરાયને જોડતો રસ્તો અતિ બિસ્માર:ખેડૂતો વાડીએ જવા 2 KMની જગ્યાએ 17 KM રસ્તો કાપવા મજબૂર, જમીન વિવાદને કારણે CC રોડનું 30 % કામ 5 વર્ષથી અધૂરું

એક તરફ ખેડૂતોમાં માવઠાનો માર અને કમોસમી વરસાદે ખેડૂતોમાં ચિંતા ઊભી કરી છે તો બીજી તરફ ખેડૂતોને પ્રાથમિક સુવિધા ન મળતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે. કેશોદના મોવાણા ગામના સીમ વિસ્તાર અને અગતરાયને જોડતા રસ્તાની બિસ્માર હાલત એવી છે કે, ખેડૂતોને તેમની વાડી સુધી પહોંચવા માટેનું સીધું અંતર માત્ર 2 કિલોમીટર હોવા છતાં, તેમને 17 કિલોમીટરનું લાંબુ અને કંટાળાજનક અંતર કાપીને જવું પડે છે. વર્ષોથી ચાલી આવતી આ સમસ્યા આજે પણ એટલી જ ગંભીર છે અને ખાસ કરીને ચોમાસામાં અહીંના લોકોનું જીવન નર્ક સમાન બની જાય છે. 17 કિલોમીટર રસ્તો કાપીને ખેડૂતો પોતાની વાડીએ જવા મજબૂરમોવાણા ગામના સરપંચ અનિલભાઈ અ. આદવાણીએ ગામની આ સમસ્યા વિશે જણાવ્યું હતું કે, અમારા ગામની સમસ્યા રાજમાર્ગની છે અને અહીંના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી ખૂબ જ દુઃખી છે. વાડીએ જતો રસ્તો બે કિલોમીટરનો છે, પરંતુ અહીં રોડ ન બનતા 17 કિલોમીટર રસ્તો કાપીને ખેડૂતો પોતાની વાડીએ જવા મજબૂર બન્યા છે. સરપંચે હાલની પરિસ્થિતિ વિશે જણાવ્યું હતું કે, ચોમાસામાં અહીંથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ હોય છે અને હાલમાં પણ પુલની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે અહીંથી બાઇક પણ પસાર કરવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. તેમની માંગણી સ્પષ્ટ છે: “અમને વહેલી તકે અહીં સીસી રોડ બનાવી દેવામાં આવે, ગટર બનાવી દેવામાં આવે અને પુલ પણ ફરીથી બનાવી દેવામાં આવે.” આ મામલે કલેક્ટરને પણ સત્તાવાર રજૂઆત કરવામાં આવી હોવાનું સરપંચે જણાવ્યું હતું. પાંચ વર્ષથી રસ્તો બિસ્માર, અરજીઓનું નિરાકરણ નહીંગામના રહીશોની વેદના વર્ષો જૂની છે. મોવાણા ગામના રહીશ વૈભવ બોરસાણીયાએ જણાવ્યું હતું કે, અમારા ગામમાં 2017-18થી રસ્તાની ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. અહીં ન તો પુલ બનાવવામાં આવ્યો છે અને ન તો રસ્તો સારો છે, રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે. આ સમસ્યાના નિરાકરણ માટે વૈભવ બોરસાણીયાએ સરકારી તંત્રના દરવાજા પણ ખખડાવ્યા હતા. રસ્તા મામલે અમે સીએમઓ (CMO)માં પણ રજૂઆત કરી હતી. ત્યાંથી અમારી અરજી ટ્રાન્સફર કરીને જિલ્લા સ્વાગતમાં મોકલવામાં આવી હતી, જ્યાં કલેક્ટર દ્વારા પ્રશ્નના નિરાકરણની ખાતરી પણ આપવામાં આવી હતી. અંતિમ માંગણી છે કે વહેલી તકે પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવેજોકે, આ પછીની પરિસ્થિતિ વધારે નિરાશાજનક રહી. એન્જિનિયર દ્વારા વળતા જવાબમાં કહેવામાં આવ્યું હતું કે, ખેડૂતોના વિરોધના કારણે આ રસ્તો બંધ થયો છે. આ વિરોધ પાછળના કારણો જાણવા માટે પણ રહીશોએ પ્રયત્ન કર્યો છે. અહીં કોના દ્વારા કેટલી પ્રેસ કદમી એટલે કે દબાણ કરવામાં આવ્યું છે જેને લઈને પણ મેં અરજી કરી હતી, જેનો રોજકામ પણ થઈ ગયું છે.” તેમની અંતિમ માંગણી છે કે વહેલી તકે આ રસ્તાના પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે. આઠ મહિનાથી ગામમાં જઈ શકાતું નથી: બે પેઢીની વેદનારસ્તાની આ બિસ્માર હાલત માત્ર ખેતરમાં જવાની સમસ્યા પૂરતી સીમિત નથી, પરંતુ ગામલોકોના દૈનિક જીવનને પણ અસર કરી રહી છે. વાડી વિસ્તારમાં બે પેઢીથી રહેતા ઉમરભાઈ સીડાએ પોતાની હાલાકી વર્ણવતા કહ્યું હતું કે, મોવાણા ગામથી અમારી વાડી માત્ર બે કિલોમીટર જ છે, પરંતુ અમે છેલ્લા આઠ મહિનાથી ગામમાં જઈ શકતા નથી કારણ કે અહીંનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે, અમે કેશોદ પણ 15 કિલોમીટર ફરીને જઈએ છીએ.” આ દર્શાવે છે કે માત્ર વાડી વિસ્તાર જ નહીં, પરંતુ અન્ય શહેરી કેન્દ્રો સાથેનું જોડાણ પણ આ ખરાબ રસ્તાના કારણે અત્યંત મુશ્કેલ બન્યું છે. રસ્તા પર ઢોર ખૂંચી જાય છે, ખેડૂતો ખેતરમાં થઈને વાડીએ જાય છેમોવાણા ગામના અન્ય રહીશ રાજેશભાઈ મારડિયાએ રસ્તા મુદ્દે જણાવ્યું હતું કે, મોવાણા ગામ નજીક સીમ વિસ્તારમાં અને અગતરાયને જોડતો રસ્તો પાસ થયો હતો, પરંતુ રસ્તો હજુ સુધી બનાવવામાં આવ્યો નથી. જેના કારણે લોકો આ રસ્તા પરથી ચાલીને પણ પસાર થઈ શકતા નથી. ઘણી વખત તો એવી પણ ઘટનાઓ બની છે કે ગામમાંથી રખડતા ઢોર રસ્તા પરથી પસાર થયા હોય અને તે આ ખરાબ રસ્તામાં ખૂંચી ગયા હોય.” તે સમયે ગામના સેવાભાવી લોકો અને ગૌશાળાની સંસ્થામાં જોડાયેલા લોકોએ આ ખૂંચી ગયેલા ઢોરને બહાર કાઢ્યા હતા. આ સીમ વિસ્તારમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં જવા માટે અન્ય રસ્તાઓ અને બીજા ખેડૂતોના ખેતરમાં થઈને પોતાના ખેતરે પહોંચવું પડે છે, જે આંતરિક ઘર્ષણનું પણ કારણ બની શકે છે. તેમણે કહ્યું કે, ચોમાસા દરમિયાન આ રસ્તામાંથી પસાર થઈ અગતરાય ગામે જવું પણ ખૂબ જ મુશ્કેલ બને છે. ખેડૂતોની માગને પુનરાવર્તિત કરતા તેમણે જણાવ્યું કે, માત્ર 2 કિલોમીટર સીમ વિસ્તાર દૂર હોવા છતાં પણ આ ખરાબ રસ્તાના કારણે 17 કિલોમીટર ફરીને ખેડૂતોએ પોતાના ખેતરે જવું પડે છે. ત્યારે અમારી માગ છે કે આ રસ્તાનું કામ વહેલી તકે પૂરું કરવામાં આવે. આ મામલે કલેક્ટર, ગ્રામ પંચાયત અને તંત્રમાં વારંવાર રજૂઆત કરી છે અને અનેક વખત ગ્રામસભામાં પણ આ મામલે રજૂઆત કરવામાં આવી છે. 30% કામગીરી જમીનના અભાવે અધૂરી, તંત્રનો ખુલાસોઆ સમગ્ર વિવાદ અને અધૂરી કામગીરી અંગે આર.એન.બી વિભાગના અધિકારી એન. એન. સોલંકીએ ખુલાસો આપતા કહ્યું કે, અગતરાયથી મોવાણા તરફ જતો રસ્તો પહેલા કાચો રસ્તો હતો. સરકારે આ રસ્તો મંજૂર કરતાં 2019-21માં ખેડૂતોની મદદથી સાડા ત્રણ કિલોમીટર લંબાઇમાં ડામર કામ અને સીસી રોડનું કામ પૂરું કર્યું હતું. અધિકારીના મતે, “આવા રસ્તાઓમાં જમીન સંપાદનની કોઈ જોગવાઈ હોતી નથી. જેના કારણે ખેડૂતો પાસેથી જમીન તેમની સંમતિથી મેળવી રસ્તાની કામગીરી કરવામાં આવતી હોય છે. મોવાણા ગામ બાજુ 1500 મીટર ગારી (વાડી માર્ગ) અને જૂના વોંકડા જેવો રસ્તો છે, જેમાં સતત પાણીનો પ્રવાહ ચાલુ હોય છે અને ચોમાસા દરમિયાન વધુ પાણીનો પ્રવાહ હોય છે. જેના કારણે આ રસ્તાની સાઈડમાં ગટર મોટી કરવી પડે, પરંતુ કોઈ ખેડૂત સંમતિથી પોતાની જગ્યા આપવા તૈયાર ન હોય જેના કારણે રસ્તો પૂરો બની શક્યો નહોતો. અધિકારીએ માહિતી આપી હતી કે, હાલ આ રસ્તાની 70 % જેટલી કામગીરી પૂરી થઈ છે, પરંતુ બાકીની 30 ટકા કામગીરી જગ્યાના અભાવે થઈ શકી નથી. છતાં પણ હાલ અમારા પ્રયત્નો શરૂ છે કે ખેડૂતો દ્વારા જો જગ્યા આપવામાં આવે તો આ રસ્તો વહેલી તકે બની જાય, ગારીમાંથી પાણી નીકળી શકે અને સાઇડનો રસ્તો પણ બની શકે. પરંતુ અત્યાર સુધી આ શક્ય બન્યું નથી, જેના કારણે આ રસ્તાનું કામ અધૂરું રહી ગયું છે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 4:33 pm

રાજકોટમાં 2 મહિનામાં 36,486 નવા વાહનો નોંધાયા:30 લાખથી વધુની કિંમતની 93 લક્ઝરિયસ કાર વેંચાઈ, સૌથી મોંઘુ બુકિંગ 3 કરોડની EV મર્સિડિઝનું

રાજકોટમાં GST દર ઘટાડાનો જોરદાર અસર જોવા મળી છે. કેન્દ્ર સરકારે નવા વાહનો પરનો GST ઘટાડતાં માત્ર બે મહિનામાં (22 સપ્ટેમ્બરથી 25 નવેમ્બર સુધી) શહેરમાં રેકોર્ડબ્રેક 36,486 નવા વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે, જે સામાન્ય સમયની સરખામણીએ 50%થી વધુનો ઉછાળો દર્શાવે છે. આ સમયગાળામાં 3 કરોડની ઇલેક્ટ્રિક મર્સિડિઝ-Maybach સહિત 30 લાખથી વધુ કિંમતની 93 લક્ઝરી કાર વેચાઈ છે, જ્યારે મારુતિની એરેના જેવા મિડ-રેન્જ મોડેલ્સનું વેચાણ પણ બમણું થયું છે. રાજકોટ RTOના આંકડા બતાવે છે કે, ગ્રાહકોને લાખો રૂપિયાની બચત થતાં લક્ઝરીથી લઈને બજેટ સેડ સુધીના તમામ સેગમેન્ટમાં ખરીદીનો ધમધમાટ જોવા મળ્યો છે. સૌથી મોંઘી રૂ.2.95 કરોડની મર્સિડિઝ કારનું રજીસ્ટ્રેશન થયુંરાજકોટ RTO અધિકારી કેતન ખપેડે દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા GST દરમાં ઘટાડો કરવામાં આવ્યો. જેમાં નવા વાહનોની ખરીદી પર GST ઘટતા ગ્રાહકોને ખૂબ જ સારો ફાયદો થયો છે. જેથી વાહનોનું વેચાણ વધ્યું છે. રાજકોટ RTOમાં GST દર ઘટ્યા બાદના 2 મહિનામાં 36,486 વાહનોનું રજીસ્ટ્રેશન થયું છે. જેમાં 26,256 ટુ વ્હીલર તો 6,156 કાર સામેલ છે. જ્યારે રૂ.30 લાખથી વધુની કિંમતની 93 કારની ખરીદી થઈ ચૂકી છે. જેનું રજીસ્ટ્રેશન અહીં થયું છે. લક્ઝરિયસ કારમાં સૌથી મોંઘી રૂ.2.95 કરોડની મર્સિડિઝ કારનું રજીસ્ટ્રેશન થયુ છે. મર્સિડિઝ કાર શો-રૂમ સંચાલક ચેતન શ્રીમાંકરના જણાવ્યા પ્રમાણે આ કાર ગ્રાહકને રૂ.3 કરોડમાં વેંચાઈ છે. જે EV કાર છે. જેના મોડલનું નામ EKS MAYBACH છે. 30 લાખથી વધુની કિંમતની 100 જેટલી કારનું રજીસ્ટ્રેશન થઇ ચૂક્યું રાજકોટ અતુલ મોટર્સના CEO આનંદ રાડિયાએ જણાવ્યુ હતુ કે, RTOના સતાવાર આંકડા પર નજર કરીએ તો જ્યારથી GST દર ઘટ્યો એટલે કે 22 સપ્ટેમ્બરથી 25 નવેમ્બર સુધીમાં ટુ-વ્હીલર અને ફોર વ્હીલર સહિતના 36,486 વાહનોનું રજીસ્ટ્રેશન થયું છે. જેમાં લક્ઝરીની જો વાત કરવામાં આવે તો રૂ.30 લાખથી વધુની કિંમતની 100 જેટલી કારનું રજીસ્ટ્રેશન થઇ ચૂક્યું છે. મંથલી એવરેજ વેચાણ કરતા 50% વધારે કારનું વેચાણ જ્યારે અતુલ મોટર્સની વાત કરવામાં આવે તો GST દર ઘટતા અતુલ મોટર્સની મારુતિની કારમાં રૂ.70,000 થી લઈને રૂ.1.50 લાખ સુધીનો ઘટાડો થયો છે. જેનો ખૂબ મોટો ફાયદો ગ્રાહકોને થયો છે. અમારા દ્વારા GST ઘટાડા બાદથી અત્યાર સુધીમાં અંદાજે મારુતિની 1200 જેટલી કારનું વેચાણ કર્યુ છે. જે મંથલી એવરેજ વેચાણ કરતા 50% વધારે છે. 3 કરોડની સૌથી મોંઘી મર્સિડિઝ કાર વેંચાઈરાજકોટમાં GST દર ઘટ્યા બાદ વાહનોના વેચાણમાં ઉછાળો આવ્યો છે. આ દરમિયાન અહીંની RTO કચેરીમાં સૌથી મોંઘી પોણા ત્રણ કરોડની કારનું રજીસ્ટ્રેશન થયુ છે. જે મર્સિડિઝ કાર છે. જેની RTO રજીસ્ટ્રેશન કિંમત કિંમત રૂ.2,95,23,810 છે. જ્યારે આ કાર ગ્રાહકને રૂ.3 કરોડમાં મળી છે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 4:25 pm

આદિજાતિની સરકારી બોયઝ હોસ્ટેલમાં ભોજનમાં ખામી, સફાઈનો અભાવ:વીડિયો વાયરલ, રાજકોટમાં ભાડાના મકાનમાં હોસ્ટેલ ચાલે છે; અધિકારીઓએ એજન્સીને સૂચના આપી સંતોષ માન્યો

રાજકોટમાં આદિજાતિના કોલેજીયન વિદ્યાર્થીઓ માટેના છાત્રાલયની બદતર સ્થિતિ સામે આવી છે. શિયાળાની સિઝનમાં કડકડતી ઠંડી છતાં વિદ્યાર્થીઓને ઓઢવા માટે ચાદર આપવામાં આવતી નથી. આ ઉપરાંત ભોજન પર સારું આપવામાં આવતું ન હોવાની ફરિયાદ સાથેના વીડિયો સામે આવ્યા છે, જેમાં ભાડાના મકાનમાં ચાલતા આ છાત્રાલયમાં સફાઈનો અભાવ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. શાકભાજીની બાજુમાં જ કપડાં ધોવાની ચોકડીઆ ઉપરાંત ખુલ્લામાં રાખેલા શાકભાજીની બાજુમાં જ વાસણ વિછરવા અને કપડાં ધોવાની ચોકડી દેખાઈ રહી છે. જોકે આ વીડિયો સામે આવ્યા બાદ આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સફાઈ અને રસોઈનો કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સીને માત્ર સુચના આપી સંતોષ માની લેવામાં આવ્યો છે. 'ભોજનમાં ટેસ્ટ યોગ્ય આવતો ન હતો'રાજકોટના આદિજાતિ વિકાસ અધિકારી અને મદદનીશ કમિશનરના ચાર્જમાં રહેલા અજય આચાર્યએ દિવ્યભાસ્કર ડિજિટલને જણાવ્યું હતુ કે, વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે બજરંગ વાડીમાં સ્થિત આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત સરકારી કુમાર છાત્રાલય -1 ની મુલાકાત લીધી હતી. જ્યાં અમે જાતે ભોજન ટેસ્ટ કરેલું હતુ. ભોજનમાં ટેસ્ટ યોગ્ય આવતો ન હતો તેવી વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે સંબંધિત કર્મચારીઓને સૂચના આપી છે. આ ઉપરાંત સ્વચ્છતા માટે પણ વોર્ડન અને કેર ટેકરને સુચના આપી દીધી છે. સફાઈનો કોન્ટ્રાક્ટ સંકલ્પ એજન્સી પાસે છે અને રસોઈનો કોન્ટ્રાક્ટ વી.એસ.એજન્સી પાસે છે. જે બંને એજન્સી અમદાવાદની છે તેને કડક સુચના આપી દેવામાં આવી છે. બંને છાત્રાલય ભાડાના મકાનમાં ચાલે છેબજરંગવાડીમાં આવેલા છાત્રાલયમાં 50 વિદ્યાર્થીઓની કેપેસિટી છે જેની 16 વિદ્યાર્થીઓ છે. જ્યારે જંકશન વિસ્તારમાં આવેલું છે જ્યા 18 વિદ્યાર્થીઓ છે. જેઓને વિનામૂલ્યે ભોજન અને રહેઠાણની સુવિધા પૂરી પાડવામાં આવે છે. જોકે આ બંને છાત્રાલય ભાડાના મકાનમાં ચાલે છે જેમાંથી બજરંગ વાડીમાં આવેલા છાત્રાલયનું ભાડું રૂ. 34 હજાર છે જ્યારે જંકશનમાં આવેલા છાત્રાલયનું ભાડું રૂ.16 હજાર જેટલું છે. રૈયા ગામમાં કાયમી છત્રાલય શરૂ થશેતેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા પોતાનું કાયમી છત્રાલય શરૂ કરવામાં આવશે. જે માટે રૈયા ગામમાં જમીન મળેલી છે અને તેની કાર્યવાહી ચાલુ છે. રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગ દ્વારા આ બિલ્ડીંગની ડિઝાઇન સહિતની પ્રક્રિયાઓ કરવામાં આવી રહી છે. નવું મકાન મળતાની સાથે જ બંને છાત્રાલય ત્યાં શિફ્ટ કરી દેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 4:22 pm

રાષ્ટ્રીય એકતા યાત્રા આવતીકાલે વડોદરા શહેરમાં પ્રવેશ કરશે:શહેરમાં ઠેર ઠેર વિવિધ સમાજો અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે,સરદાર સભામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા હાજર રહેશે

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે કરમસદથી શરૂ થયેલી 'સરદાર @ 150 રાષ્ટ્રીય એકતા યાત્રા' આવતીકાલે વડોદરા શહેરમાં પ્રવેશ કરશે. વડોદરા શહેરમાં ઠેર ઠેર વિવિધ સમાજો અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે. આ દરમિયાન સરદાર સભામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા હાજર રહેશે. રાષ્ટ્રીય એકતા યાત્રાની માહિતી આપવા માટે આજે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ભાજપના રાષ્ટ્રીય મંત્રી ઓમપ્રકાશ ધનખર, સાંસદ ડૉ હેમાંગ જોષી, વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉ.જયપ્રકાશ સોની, ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ હાજર રહ્યા હતા. વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિતે રાષ્ટ્રીય એકતા યાત્રા નીકળી છે, જેનો આજે વડોદરા જિલ્લામાં પ્રવેશ થયો છે. આવતીકાલે રાષ્ટ્રીય યુનિટી યાત્રાનું વડોદરામાં આગમન થશે. વડોદરા શહેર અને જિલ્લામાં પાંચ દિવસ આ યાત્રા રહેશે. વડોદરા શહેરમાં બે દિવસ યાત્રાનો માર્ગ રહેશે. આવતીકાલે સેવાસી ખાતે આ યાત્રાનું આગમન થશે. જ્યાં યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. પાટીદાર સહિતના વિવિધ સમાજ અને ધાર્મિક સંસ્થાઓ આ પ્રસંગે હાજર રહેશે. ત્યારબાદ યાત્રા આગળ વધશે અને ગોત્રી ખાતે પણ યાત્રાનું સ્વાગત કરવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આગળ વધીને હરીનગર ચાર રસ્તા પાસે સાઉથ ઇન્ડિયન સમાજ યાત્રાનું સ્વાગત કરશે. ત્યારબાદ ઇસ્કોન મંદિર, તાંદલજા ગાર્ડન, આટલાદરા બ્રહ્માકુમારી સેન્ટર, અટલાદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આ યાત્રા સરદાર સભામાં પરિવર્તિત થઈ જશે. જ્યાં અમારા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા હાજર રહેશે. આ ઉપરાંત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહેશે. આ ઉપરાંત પદયાત્રી તરીકે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણી પણ જોડાશે. તેઓએ ઉમેર્યું હતું કે, સરદાર સભા પૂર્ણ થયા બાદ યાત્રા મુજમહુડા ખાતે પહોંચશે, જ્યાં મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવશે, ત્યારબાદ અકોટા ગામ ખાતે દરબારી સંસ્કૃતિથી યાત્રાનું સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ સાંજે 7 વાગ્યે નવલખી મેદાન ખાતે યાત્રા ફરી જાહેર સભામાં ફેરવાઈ જશે. આ જાહેરસભામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણી ઉપસ્થિત રહેશે. જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થવાના છે. તેઓએ કહ્યું કે, નવલખી મેદાનમાં ગાયક કિર્તીદાન ગઢવી દ્વારા સરદાર સાહેબના જીવન પર ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પર આધારિત 40 મિનિટનો મલ્ટીમીડિયા શો પણ થશે. ત્યારબાદ 30 નવેમ્બરના રોજ પણ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રાષ્ટ્રીય એકતા યાત્રા ફરશે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 4:17 pm

મનપા કચેરીમાં સફાઈ કામદારોનો ફરી મોરચો:રાજીનામામાંથી મેડિકલ સર્ટિનો નિયમ રદ કરી 200 વારસદારોને નોકરી આપવા મેયરને વાલ્મિકી સમાજની રજૂઆત

રાજકોટ મહાનગરપાલિકામા સફાઈ કામદારોના વારસદારોને નોકરીનો પ્રશ્ન ફરી એક વખત ગાજ્યો હતો. આજે વાલ્મિકી સમાજ મોટી સંખ્યામાં મનપા કચેરી ખાતે એકત્ર થયો હતો. જેમાં અન્ય મહાનગરપાલિકાની જેમ સફાઈ કામદારોમાં સ્વૈચ્છીક રાજીનામુ આપી તેમના વારસદારને નોકરીમાં લેવાના નિયમોનું પાલન કરવામાં આવે અને રાજીનામામાંથી મેડીકલ સર્ટિફિકેટ રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી તો તેમનો પ્રશ્ન નહીં ઉકેલાય તો 15 દિવસ બાદ આંદોલન અને હડતાલની ચિમકી ઉચ્ચારી હતી. રાજકોટ વાલ્મિકી સમાજ દ્વારા મેયર નયનાબેન પેઢડીયાને કરાયેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકામાં અમદાવાદ, વડોદરા તેમજ સુરત તથા અન્ય મહાનગરપાલિકાની જેમ સફાઈ કામદારોમાં સ્વૈચ્છીક રાજીનામુ આપી તેમના વારસદારને નોકરીમાં લેવાનો નિયમ અમલમાં છે.પરંતુ છેલ્લા 4 વર્ષથી સીવીલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવતા મેડીકલ સર્ટીફીકેટમાં વિસંગતતાઓને કારણે 200 થી વધારે સફાઈ કામદારોના રાજીનામાં અટવાયેલા પડયા છે અને ઘણા સફાઈ કામદારો અવસાન પામેલ તથા નિવૃત થઈ ગયેલ છતાં તેમને પોતાના વારસદારને નોકરીના હકકથી વંચીત રહેવુ પડ્યુ છે. તા.31 જુલાઈ, 2024ના રોજ સફાઈ કામદારોની રેલીના આવેદન બાદ કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ તથા અધિકારીઓની તાકીદની મીટીંગ મળી હતી. જેમાં સફાઈ કામદારોની ભરતી તથા રાજીનામાંથી મેડીકલ સર્ટીફીકેટ રદ કરવાના મુદ્દા એક માસમાં પૂર્ણ કરવાની ખાત્રી અપાતા આગેવાનો દ્વારા આંદોલન સમેટવામાં આવ્યુ હતુ. જે બાદ ભરતી માટે ફોર્મ બહાર પાડવામાં આવ્યા અને અનેક બેરોજગાર લોકો દ્વારા ભરવામાં આવ્યુ હતુ પરંતુ ભરતી કરવામાં આવેલી નથી. જે પછી ઘણી રજુઆતો બાદ સફાઈ કામદારોના પેન્ડીંગ રાજીનામાઓ મેડીકલ અભિપ્રાય માટે સીવીલ હોસ્પિટલમાં મોકલવાનું થયુ અને દર ગુરૂવારે 30- 30 સફાઈ કામદારોને સીવીલ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે પરંતુ ત્યાં પોતાના કામમાં રજાઓ મુકી મેડીકલ માટે જતા સફાઈ કામદારોને ધકકા ખવડાવે છે. હાલ સુધી એકપણ મેડીકલ સર્ટીફીકેટ મનપામાં જમા કરાવવામાં આવેલ નથી. જેથી અમારી વિનંતી છે કે, આ માટે ફરીથી જનરલ બોર્ડમાં ઠરાવ કરી અત્યાર સુધીની તમામ અરજીઓને મેડીકલ સર્ટીફીકેટમાંથી મુકિત આપી મંજુર કરવામાં આવે. આ ઉપરાંત સફાઈ કામદારોની ભરતી માટે જનરલ બોર્ડમાં 2- 2 વખત ઠરાવ કરવામાં આવ્યો અને 2-2 વખત ફોર્મ ભરવામાં આવ્યો પરંતુ હજુ સુધી ભરતી કરવામાં આવેલ નથી તો ભરાયેલા ફોર્મનો તાત્કાલીક ડ્રો કરી ભરતી કરવામાં આવે. અમારા પ્રશ્નોનો 15 દિવસમાં ઉકેલ લાવવામાં નહીં આવે તો ફરીથી આંદોલન, હડતાલ સહિતના પગલા લેવાની ફરજ પડશે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 4:11 pm

પાવીજેતપુર તાલુકા યુવા ઉત્સવ-2025 ભેંસાવહી ખાતે સંપન્ન:યુવાનોની પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

પાવીજેતપુર તાલુકા કક્ષા યુવા ઉત્સવ-૨૦૨૫નું આયોજન ભેંસાવહી હાઈસ્કૂલ ખાતે સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, છોટાઉદેપુર અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આ ઉત્સવ યોજાયો હતો. આ યુવા ઉત્સવ ભેંસાવહી ખાતેની આદિવાસી માધ્યમિક શાળાના પ્રાંગણમાં ૨૮ નવેમ્બર, ૨૦૨૫, શુક્રવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે શરૂ થયો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો અને તેમને યોગ્ય મંચ પૂરો પાડવાનો હતો. આ પ્રસંગે પાવીજેતપુર તાલુકાના મોટી સંખ્યામાં યુવા ભાઈ-બહેનોએ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉત્સવમાં લોકગીત, લોકનૃત્ય, વક્તૃત્વ સ્પર્ધા, ચિત્રકલા, નિબંધ લેખન, સર્જનાત્મક કારીગરી અને વાદ્ય સંગીત જેવી સાંસ્કૃતિક અને કલાત્મક સ્પર્ધાઓ યોજાઈ હતી. શાળાના આચાર્ય દિનેશ કોળીએ યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે, આવા ઉત્સવો યુવાનોને તેમની સંસ્કૃતિ સાથે જોડી રાખે છે અને સર્વાંગી વિકાસ માટેની પ્રેરણા પૂરી પાડે છે. આ સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાન મેળવનાર યુવા પ્રતિભાઓ હવે જિલ્લા કક્ષાના યુવા ઉત્સવમાં પાવીજેતપુર તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 4:09 pm

BLOના મોત માટે કોંગ્રેસે સરકારની નીતિ- નિયતને જવાબદારી ગણાવી:કોંગ્રેસે કહ્યું, ચિંતન શિબિરમાં નાટક કરતી સરકારે BLOના નિધન મુદ્દે ચિંતા કરવી જોઈએ

રાજ્યમાં અત્યારે મતદારયાદી સુધારણા એટલે કે SIRની કામગીરી ચાલી રહી છે. શિક્ષકોને BLOની કામગીરી સોંપવામાં આવતા તેમના પર કામનું ભારણ વધી રહ્યું છે. જેના કારણે છેલ્લા કેટલાક દિવસમાં શિક્ષકોના મોત થઈ રહ્યા છે. તો કેટલાક શિક્ષકોએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. BLO કામગીરી કરતા શિક્ષકોના મોત થતા કોંગ્રેસે સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. BLO શિક્ષકોના મોત માટે કોંગ્રેસે સરકારની નીતિ અને અવ્યવસ્થાને જવાબદાર ગણાવી છે. તેમજ ચિંતન શિબિરમાં નાટક કરવાના બદલે સરકારે BLOના નિધન મુદ્દે ચિંતા કરવાની કોંગ્રેસે સરકારને સલાહ આપી છે. તેમજ ચૂંટણી પંચે ભારણ ઘટાડવા અન્ય વ્યવસ્થા કરવાની કોંગ્રેસે માગ કરી છે. 'આયોજનના અભાવે અને સરકારની નીતિના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે'ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશના 12 રાજ્યોમાં મતદારયાદીની ચકાસણી ચાલી રહી છે. જેમાં ગુજરાતમાં 5થી વધુ BLOના નિધન થયા. એક BLOએ તો કારણ ચીઠ્ઠી લખીને અંતિમ પગલું ભર્યું. કામનું અતિશય ભારણ, વારંવારની રજૂઆત, અધિકારીઓનું દબાણ, મૌખિક સૂચનાઓની જાણ છતાં તંત્રએ મૌન ધારણ કર્યું છે. આ મૌન વ્યવસ્થાના અભાવે, આયોજનના અભાવે અને સરકારની નીતિ અને નિયતના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્રણ કાળા કાયદા સમયે પણ 750 કરતા વધુ ખેડૂતોએ જીવ ગુમાવ્યા હતા. નોટબંધી વખતે પણ સામાન્ય નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. મહેસાણાના બીએલઓને હાર્ટએટેકે આવ્યોવધુમાં ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, જે બાદ મતદારયાદી સુધારણાના કારણે 5થી વધુ અને સમગ્ર દેશમાં 27થી વધુ કામગીરી સાથે જોડાયેલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આજે મહેસાણામાં જે આચાર્યએ BLOની કામગીરીની ફરજ દરમિયાન કામના ભારણના કારણે રાત્રે હાર્ટએટેક આવી ગયો હતો. સરકાર ક્યારે જાગશે ? ચૂંટણી પંચ પણ ક્યારે જાગશે ?ડૉ. મનીષ દોશીએ કહ્યું કે, સરકારની નીતિ અને વ્યવસ્થાના અભાવના કારણે વ્યવસ્થામાં જોડાયેલા લોકોના પણ મોત થાય તો હવે સરકાર ક્યારે જાગશે ? ચૂંટણી પંચ પણ ક્યારે જાગશે ? કામના ભારણના કારણે ચૂંટણી પંચે તાત્કાલિક વ્યવસ્થા કરવી જોઈએ. ચિંતન શિબિરના નામે નાટક કરતી ભાજપ સરકારે BLO ના નિધન અંગે ચિંતા કરવાની જરૂર છે. ખાલી કેબિનેટમાં ચર્ચા કરવાથી નહીં પરંતુ હકીકત લખશે જમીની પર વ્યવસ્થા આપવી પડશે. જેથી યોગ્ય વ્યવસ્થા આપવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 3:58 pm

'DGVCL આદિવાસી સમાજના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યું છે':આદિવાસી નેતા અનંત પટેલનો આક્ષેપ, ભરતી પ્રક્રિયામાં ગેરરીતિનો ચૈતર વસાવાનો આક્ષેપ, કાપોદ્રાની ઓફિસમાં વિરોધ

સુરતના કાપોદ્રા ખાતે આવેલી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL)ની મુખ્ય કચેરીમાં આજે એક અસામાન્ય દૃશ્ય જોવા મળ્યું. જ્યાં સામાન્ય રીતે એસી ચેમ્બરમાં બેસતા DGVCLના અધિકારીઓ ખુદ પોતાની ઓફિસમાં જમીન પર બેઠેલા નજર આવ્યા હતા. આ નજારો ગુજરાતના બે આદિવાસી નેતાઓ - કોંગ્રેસના અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાના વિરોધ પ્રદર્શનના પગલે સર્જાયો હતો. આ બંને નેતાઓએ 'વિદ્યુત સહાયક'ની પરીક્ષા પાસ કરનાર આદિવાસી યુવાનોને નોકરી ન મળવાના મુદ્દે વિરોધ નોંધાવવા માટે કચેરીની મુલાકાત લીધી હતી. ગુજરાતની રાજનીતિમાં કટ્ટર હરીફ ગણાતી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ એક જ મુદ્દે એકસાથે વિરોધ કરવા માટે આવ્યા, તે ઘટના સુરતના રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. તાજેતરમાં જ પેટાચૂંટણીમાં એકબીજા સામે ગંભીર આક્ષેપો કરનાર આ બંને પક્ષોનું આ 'વિરોધ ગઠબંધન' સૂચવે છે કે આદિવાસી યુવાનોના ભવિષ્યનો મુદ્દો તેમના રાજકીય ભેદભાવથી ઉપર છે. 1800 યુવાનોને વિદ્યુત સહાયકની હજી સુધી નોકરી મળી નથીવિદ્યુત સહાયકની પરીક્ષા પાસ કરનાર લગભગ 1800 જેટલા યુવાનોને હજી સુધી નોકરી મળી નથી. આ યુવાનોના હક માટે લડવા અનંત પટેલ વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય અને ચૈતર વસાવા ડેડિયાપાડાના AAP ધારાસભ્ય DGVCL કચેરીએ પહોંચ્યા હતા . પ્રશ્નોનો યોગ્ય જવાબ ન મળતા, બંને નેતાઓ ત્યાં જ જમીન પર બેસીને વિરોધ શરૂ કર્યો. આ અનોખા વિરોધ પ્રદર્શનને જોતા, DGVCLના બે અધિકારીઓ પણ તેમની સાથે વાતચીત કરવા માટે જમીન પર બેઠા, જે આ ઘટનાનો સૌથી નોંધપાત્ર ભાગ રહ્યો. 'DGVCL યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યું છે'કોંગ્રેસના આદિવાસી નેતા અનંત પટેલે આક્ષેપ કર્યો કે, DGVCL યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે પરીક્ષા પાસ કરનાર યુવાનોને નોકરી આપવાને બદલે, આઉટસોર્સિંગ દ્વારા એવા લોકોને નોકરી આપવામાં આવી રહી છે જેમણે ITI કે એપ્રેન્ટિસશિપ કરી નથી, જે ગેરરીતિ સૂચવે છે. તેમણે ઉમેર્યું કે જુલાઈ મહિનામાં પણ આ જ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો, જે બાદ લગભગ 157 લોકોને નોકરી મળી, પરંતુ હજી પણ 400 થી 500 યુવાનોની નોકરી બાકી છે. ભરતી પ્રક્રિયામાં ગેરરીતિનો ચૈતરનો આક્ષેપઆમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાએ પણ અનંત પટેલના સૂર પુરાવતા જણાવ્યું હતું કે, જ્યાં સુધી આદિવાસી સમાજના યુવાનોને તેમની મહેનતની નોકરી નહીં મળે અને યોગ્ય જવાબ આપવામાં નહીં આવે ત્યાં સુધી આ વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. તેમણે પણ ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ અને યુવાનોના ભવિષ્ય સાથે થતા ચેડાં સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. 'બાકીના ઉમેદવારો વેઈટિંગ લિસ્ટમાં સામેલ'ભરતી પ્રક્રિયામાં વિલંબ અંગે DGVCLના અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે, અગાઉ 50% માર્ક્સનો નિયમ હતો, પરંતુ આ વખતે મેજોરિટીમાં લોકો પાસ થયા છે. તેમણે જણાવ્યું કે, જગ્યા અમારી માત્ર 195 જ હતી, જેના કારણે બાકીના ઉમેદવારો વેઈટિંગ લિસ્ટમાં દેખાઈ રહ્યા છે. જોકે, નેતાઓએ આ સ્પષ્ટતાને પૂરતી ગણી નહોતી. 'મહેનત કરીને પરીક્ષા પાસ કરી છે, પરંતુ નોકરી મળતી નથી'પરીક્ષા પાસ કરનાર સૌરભ નામના એક યુવાને પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે, તેણે ખૂબ મહેનત કરીને પરીક્ષા પાસ કરી છે, પરંતુ નોકરી મળતી નથી. તેના બદલે ખાનગી ભરતી દ્વારા અનિયમિત લોકોને નોકરી આપવાની વાતો ચાલી રહી છે, જેનાથી તેમને મળવાપાત્ર તમામ સુવિધાઓથી વંચિત રહેવું પડશે. પરીક્ષાર્થીઓ દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓના આદિવાસી સમાજનાઆ બંને આદિવાસી નેતાઓએ આક્ષેપ કર્યો છે કે આ ભરતી પ્રક્રિયા માટે દિલ્હીની એક કોન્ટ્રાક્ટ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, જે ભરતીમાં ગેરરીતિ કરી રહી છે. પાસ થનાર મોટાભાગના પરીક્ષાર્થીઓ દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓના આદિવાસી સમાજના છે, જેમના હક માટે આ નેતાઓ લડી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 3:47 pm

પાટણમાં રમેશભાઈ ઓઝાની કથા પૂર્વે પોથીયાત્રા નિકળશે:હાથીની અંબાડી, 28 ટેબ્લો સાથે ગૌ શાળાના લાભાર્થે ભવ્ય આયોજન

પાટણના અનાવાડા સ્થિત હરીઓમ ગૌ શાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે 1 થી 7 ડિસેમ્બર દરમિયાન સુપ્રસિદ્ધ કથાકાર રમેશભાઈ ઓઝાના વ્યાસપીઠે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના શુભારંભ પૂર્વે 29 નવેમ્બર, શનિવારના રોજ બપોરે 1:00 કલાકે ભવ્ય ગૌ ભક્તિ પોથીયાત્રા નીકળશે. આ વિરાટ પોથીયાત્રા રેલવે સ્ટેશનથી કથા સ્થળ સુધી જશે. યાત્રાનો પ્રારંભ રેલવે સ્ટેશન નજીક આવેલા લક્ષ્મી નિવાસ બંગલો પાસે મુખ્ય દાતાઓના નિવાસસ્થાને પોથી પૂજન બાદ થશે. આ યાત્રામાં મુખ્ય પોથી હાથીની અંબાડી પર બિરાજમાન થશે. પોથીયાત્રાનું મુખ્ય આકર્ષણ 28 જેટલા વિવિધ પૌરાણિક અને ઐતિહાસિક વિષયો પરના ટેબ્લો રહેશે. જેમાં નાયકા દેવી, શિવાજી, મહારાણા પ્રતાપ, રાણી લક્ષ્મીબાઈ અને દ્વારકાધીશના દ્રશ્યો રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત, 9 જેટલી સ્કૂલો અને મંદિરોના ટેબ્લો પણ જોડાશે. યાત્રામાં નાશિક ઢોલ, લાઠીના દાવ, 2 ડીજે પર લાઈવ ગાયક કલાકારો દ્વારા સંગીત અને 2 બેન્ડ જોડાશે. 108 યજમાનો ભાગવત ગ્રંથ માથે લઈને ચાલશે, જ્યારે 108 દીકરીઓ કળશ અને તુલસીના છોડ સાથે યાત્રાની શોભા વધારશે. કથાના મુખ્ય દાતા પરિવારો સંતો (મુકુંદ પ્રકાશજી મહારાજ સહિત) સાથે બગીઓમાં જોડાશે. શ્રી અણહિલવાડ ગૌ ભક્તિ મહોત્સવના ભાગરૂપે હરીઓમ ગૌ શાળાના વિશાળ સંકુલમાં કથાનું આયોજન થયું છે, જ્યાં 15,000 શ્રોતાઓ માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કથાનો શુભારંભ વાલ્મિકી સમાજની 51 દીકરીઓના પગલાં પાડીને કરવામાં આવશે, જે સામાજિક સમરસતાનો સંદેશ આપશે. રેલવે સ્ટેશનથી રંગીલા હનુમાન મંદિર સુધી વિવિધ સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરાયું છે. પોથીયાત્રા પૂર્ણ થયા બાદ તમામ ભાવિકોને વાહનો દ્વારા કથા સ્થળ (હરીઓમ ગૌશાળા, અનાવાડા) પર પહોંચાડવામાં આવશે. અહીં દરરોજ 50,000 ભાવિકો માટે શુદ્ધ ગાયના ઘીમાંથી બનેલા ભોજન પ્રસાદની વ્યવસ્થા છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે જીમખાનાથી કથા સ્થળ સુધી વિનામૂલ્યે વાહનોની વ્યવસ્થા પણ ઉપલબ્ધ રહેશે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 3:47 pm

લિફ્ટમાં ફસાયેલા યુવકનું LIVE રેસ્ક્યુ:પાલિકાના મલ્ટિલેવલ પાર્કિગની લિફ્ટ બંધ થઈ જતા યુવક ફસાયો, ફાયર સ્ટેશનની બાજુમાં જ હોવાથી જવાનો દોડીને પહોંચ્યા ને 5 મિનિટમાં બચાવ કર્યો

સુરત શહેરમાં લિફ્ટમાં ફસાઈ જવાની બે જેટલી ઘટનાઓ સામે આવી છે. આ બંને ઘટનાઓ ફાઇલ સ્ટેશનની બાજુમાં હોવાથી ગણતરીની પાંચથી સાત મિનિટોમાં જ લિફ્ટમાં ફસાયેલાને બહાર કાઢવામાં સફળતા મળી હતી. સુરત મહાનગરપાલિકાની બાજુમાં જ આવેલા પાલિકાના મલ્ટી લેવલ પાર્કિંગની લિફ્ટ માં એક યુવક ફસાઈ ગયો હતો. જેથી બૂમાબૂમ કરતા ફાયરના જવાનો દોડી ગયા હતા અને પાંચ મિનિટમાં જ બહાર કાઢી લીધો હતો. મળતી માહિતી પ્રમાણે, 46 વર્ષીય સુનિલ અશ્વિનભાઈ ધીમ્મર ઉધના જુના અધિકારીને કારમાં લઈને મોગલીસરા મહાનગરપાલિકાની બાજુમાં આવેલા પાલિકાના મલ્ટી લેવલ પાર્કિંગમાં પહોંચ્યા હતા. બીજા માળે કાર પાર્ક કરીને લિફ્ટ માં નીચે આવી રહ્યા હતા. ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચતા જ લિફ્ટ ઉભી રહી હતી પણ ખુલતી ન હતી. જેથી સુનિલભાઈએ બૂમાબૂમ કરી હતી. જેથી ત્યાં હાજર યુવક દ્વારા દોડીને બાજુમાં જ આવેલા ફાયર સ્ટેશન પર જઈને જાણ કરી હતી. મુગલીસરા ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર બળવંત સિંહ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. લિફ્ટ મા ફસાયેલા યુવકને પહેલા સાન કર્યો હતો અને પાંચ જ મિનિટમાં ટુલ્સથી લિફ્ટના દરવાજાને ખોલી નાખ્યા હતા. સહી સલામત બહાર નીકળી જતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. ગણતરીની પાંચ મીનીટોમાં જ યુવકને બહાર કાઢી લેતા યુવકે પણ ફાયરના જવાનોનો આભાર માન્યો હતો. અન્ય એક બનાવમા મોડી રાત્રે ફાયર કંટ્રોલ વિભાગને કોલ મળ્યો હતો કે રાત્રે મજુરા ફાયર સ્ટેશનની બાજુમાં આવેલ આકાશ ગંગા એપાર્ટમેન્ટમાં ચોથા માળે લિફ્ટમાં એક યુવક ફસાયો છે. જે કોલ મળતાની સાથે જ મજુરા ફાયર સ્ટેશનથી સબ ફાયર ઓફિસર કાંતિભાઈ અને ફાયર બ્રિગેડના જવાનોની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ચોથા માળે લિફ્ટનો દરવાજો તોડી નાખી અંદર ફસાયેલા 36 વર્ષીય અનિલ ઘીસુલાલ રાણકા (રહે.આકાશ ગંગા એપાર્ટ.) નામના વ્યક્તિને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો હતો. ફાયરબ્રિગ્રેડ વિભાગ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે તે છઠ્ઠા મળે રહેતો હતો અને તે રાત્રે શાકભાજી લેવા માટે જતો હતો. બિલ્ડિંગમાંથી નીચે ઉતારતો હતો ત્યારે અચાનક જ તે લિફ્ટમાં ફસાઈ ગયો છે. સદનસીબે આ બનાવમા કોઈપણ પ્રકારની ઈજા કે જાનહાની થવા પામી ન હતી.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 3:36 pm

કરજણ-પાદરા બેઠક પર ભાજપ સામે ભાજપના ઉમેદવારોનો જંગ:વડોદરા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની 3 બેઠકની ચૂંટણી, દિનુ મામાએ કહ્યું: મેન્ડેટની સામે વિરોધ, સતિષ નિશાળિયાએ કહ્યુ: સંકલન સમિતિ બોલાવ્યા વગર મેન્ડેટ આપી દીધા

વડોદરા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની 3 બેઠકોની ચૂંટણી માટે આજે મતદાન થયું હતું. જેમાં કરજણ અને પાદરા બેઠક પર ભાજપ વિરુદ્ધ ભાજપનો જંગ સર્જાયો છે. આગાઉ 12 બેઠકો બિનહરીફ થઈ હતી, જોકે ત્રણ બેઠકો માટે કોકડું ગુંચવાતા આજે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. વડોદરા શહેરના જ્યુબેલી બાગ તરીકેશ્વર મહાદેવના પટાંગણમાં મતદાન થઈ થઈ રહ્યું છે. વાઘોડિયા, પાદરા અને કરજણ તાલુકામાં ભાંજગડ ઉભી થતા ચૂંટણીઓ યોજાઈ રહી છે. દરેક તાલુકામાં 30થી 35 મતદારો મતદાન કર્યું હતું. વડોદરા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી માટે 4 નવેમ્બરથી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જોકે ઉમેદવારી ફોર્મ ભર્યાની સમયમર્યાદા પૂર્ણ થયા સુધી ભાજપે મેન્ડેટ સહિત ઉમેદવારની યાદી પ્રસિદ્ધ નહીં કરતા મનફાવે તે રીતે સહકારી અગ્રણીઓએ ઉમેદવારી નોંધાવી હતી. સમય મર્યાદા પૂર્ણ થયા બાદ લગભગ 18 નવેમ્બરે ભાજપે ઉમેદવારોનું મેન્ડેટ જાહેર કર્યું હતું. ફોર્મ પરત ખેંચવાની તારીખે ભાજપ સામે પ્રતિસ્પર્ધી ભાજપના જ સહકારી અગ્રણીઓ પૈકી પાદરા અને કરજણમાંથી ભાજપના સહકારી અગ્રણી ઉમેદવારોએ ફોર્મ પરત નહીં ખેંચતા બે બેઠકો પર ભાજપ વિરુદ્ધ ભાજપનો ઘાટ સર્જાયો હતો. જ્યારે વાઘોડિયા બેઠક પર ભાજપના મેન્ડેટ ધારક ઉમેદવાર હરિકૃષ્ણ પટેલ વિરુદ્ધ કોંગ્રેસ સમર્પિત સહકારી અગ્રણીની ઉમેદવારી ઉભી રહેતા વાઘોડિયા બેઠક પર ભાજપ વિરુદ્ધ કોંગ્રેસની સ્થિતિ સર્જાઈ હતી. ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ (દિનુ મામા) એ જણાવ્યું હતું કે, હું તો કાયમ મારો ઉમેદવાર ઊભો રાખું છું. હું લડવાનું નહીં છોડુ. ચંદ્રેશ પટેલ મારો ઉમેદવાર છે. બીજો ઉમેદવાર પણ મારા બાજુના ગામનો જ છે. પણ મેન્ડેટની સામે મારો વિરોધ છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય સતિષ નિશાળિયાએ જણાવ્યું હતું કે, 15 ઝોનમાંથી 12 ઝોન બિનહરીફ થયા છે. માત્ર 3 ઝોનમાં ચૂંટણી થઈ રહી છે. મતદારો કઈ તરફનો ઝોક રાખે છે, તે આવતી કાલે જ ખબર પડશે. દરેક જગ્યાએ ભાજપની સામે ભાજપના ઉમેદવારો છે. ફોર્મ ભરાયા ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખની ફરજ બનતી હોય છે કે, આપણે સંકલન સમિતિની મિટિંગ બોલાવીએ. જેમાં ધારાસભ્યો અને સંસદ સભ્ય પણ હોય, 12 બેઠક બિનહરીફ થતી હોય તો ત્રણ કેમ ન થાય? સંકલન સમિતિની બેઠક બોલાવી હતી તો 3 બેઠક પણ બિનહરીફ થઈ જાત. સંકલન સમિતિ બોલાવ્યા વગર મેન્ડેટ આપી દે અને ફોર્મ ભરી દીધા હોય તો બધાને પોતપોતાનો ઈગો હોય છે, તો ફોર્મ પાછા ન ખેંચે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 3:25 pm

જીવલેણ મચ્છરજન્ય રોગચાળા સામે રક્ષણ આપશે:MSUના સંશોધકોએ વિકસાવ્યું કુદરતી હર્બલ અર્કવાળું મચ્છર ભગાડનાર સુતરાઉ કાપડ, મચ્છર ભગાડવા માટે ઉત્તમ

પર્યાવરણને અનુકૂળ અને સલામત વિકલ્પની શોધમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સંશોધકોએ મોટી સફળતા હાંસલ કરી છે. યુનિવર્સિટીની ટેક્નોલોજી ફેકલ્ટીના ટેક્સટાઇલ કેમિસ્ટ્રી વિભાગની ટીમે લીલી ચહાના પત્તા (લેમનગ્રાસ), લીમડો અને તુલસીના કુદરતી અર્કનો ઉપયોગ કરીને એક એવું સુતરાઉ કાપડ વિકસાવ્યું છે જે મચ્છરોને 85 ટકા સુધી દૂર રાખે છે, સાથે જ એન્ટિમાઇક્રોબાયલ અને યુવી રક્ષણના ગુણ પણ ધરાવે છે. આ સંશોધનનું નેતૃત્વ ડો.ભરત એચ.પટેલે કર્યું છે, જ્યારે સહ-માર્ગદર્શક દેવાંગ પી.પંચાલ અને વિદ્યાર્થી સંશોધક જયંત પાટીલે મહત્વનું યોગદાન આપ્યું છે. સંશોધનમાં પેડ-ડ્રાય-ક્યોર પદ્ધતિથી કોટન કાપડ પર આ ત્રણેય વનસ્પતિઓના અર્કનું મિશ્રણ લગાવવામાં આવ્યું હતું. પરીક્ષણમાં જાણવા મળ્યું છે કે આ સારવાર કરાયેલ કાપડ મચ્છરો સામે 85 ટકા સુધીની રિપેલન્સી (ભગાડવાની ક્ષમતા) દર્શાવે છે. તેની સાથે કાપડમાં બેક્ટેરિયા- વિરોધી ગુણ અને સૂર્યના હાનિકારક યુવી કિરણોથી બચાવવાની ક્ષમતા પણ જોવા મળી છે. આ કાપડ પૂરેપૂરું બાયોડિગ્રેડેબલ અને પર્યાવરણને અનુકૂળ હોવાથી રાસાયણિક જંતુનાશકોનો વિકલ્પ બની શકે છે. ડો.ભરત પટેલે જણાવ્યું હતું કે, આ કાપડ મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ઝિકા જેવા મચ્છરજન્ય રોગો સામે સલામત અને ટકાઉ રક્ષણ આપી શકે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં રાસાયણિક રિપેલન્ટની પહોંચ મર્યાદિત છે, ત્યાં આ કાપડનો ઉપયોગ મચ્છરદાની, કપડાં કે પડદા તરીકે થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 3:24 pm

ચિંતન શિબિરમાં કેબિનેટ સેક્રેટરી સોમનાથનનું માર્ગદર્શન:સુશાસન અને આર્થિક વિકાસ પર માર્ગદર્શન આપ્યું, કહ્યું- 'નેતાઓ-અધિકારીઓનો સમન્વય રાષ્ટ્ર વિકાસ માટે જરૂરી'

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આયોજિત 12મી 'ચિંતન શિબિર-2025'ના બીજા દિવસે કેન્દ્ર સરકારના કેબિનેટ સેક્રેટરી ટી.વી. સોમનાથને ભારતના આર્થિક વિકાસ અને સુશાસનની વ્યૂહરચનાઓ પર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ વચ્ચેનો સમન્વય રાષ્ટ્રના વિકાસ અને જાહેર વહીવટને સરળ, સુગમ અને પ્રજાકેન્દ્રી બનાવે છે. સોમનાથને સ્પષ્ટ કર્યું કે, એક તરફ ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકઇચ્છાનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે અધિકારીઓ નિયમો અને પ્રક્રિયાઓનું પાલન સુનિશ્ચિત કરે છે. આ સમન્વય સુશાસન માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ સત્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે, દેશને વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના ધ્યેય સાથે કેન્દ્ર સરકાર આર્થિક વિકાસ, ઉદ્યોગોને પ્રોત્સાહન આપતી નીતિઓ, સરળ વ્યાપારી માહોલ અને સુશાસન તરફ સક્રિય પગલાં ભરી રહી છે. ઉદ્યોગકારો અને સ્ટાર્ટઅપના ઉદ્યમીઓને ટેક્સ વિભાગો દ્વારા બિનજરૂરી હેરાનગતિ ન થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સ્તરે નીતિગત સુધારાના પ્રયત્નો ચાલી રહ્યા છે. સોમનાથને વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ભારત યોગ્ય વિકાસ નીતિઓ, સુધારેલી શાસનવ્યવસ્થા અને ચૂંટાયેલી પાંખ તથા વહીવટી તંત્ર વચ્ચેના ગાઢ સમન્વયથી 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાનું લક્ષ્ય ચોક્કસ હાંસલ કરશે. તેમણે દેશના મજબૂત ફોરેક્સ રિઝર્વ, નિયંત્રણમાં રહેલી મોંઘવારી, રોજગાર સર્જનમાં વૃદ્ધિ અને સ્થિર રાજકોષીય સ્થિતિને સર્વાંગી વિકાસ માટે શુભ સંકેત ગણાવ્યા. છેલ્લા 10-12 વર્ષમાં કરોડો લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. આ પરિણામો નાગરિક સુખાકારી આધારિત નીતિઓ, નાણાકીય વ્યવસ્થાપન, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવા સસ્તા ઘર, સ્વચ્છતા અભિયાન અને સામાજિક સુરક્ષા યોજનાઓને આભારી છે. દેશમાં અનેક નવી IIT, IIM, મેડિકલ અને નર્સિંગ કોલેજોની સ્થાપનાએ યુવાનો માટે રોજગારી અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઊભી કરવાના અપાર અવસરો સર્જ્યા છે, જે આગામી દાયકાઓ માટે વિકાસનો મજબૂત પાયો સાબિત થશે. અંતે, તેમણે ગુજરાત સરકારની ચિંતન શિબિરની પહેલને અનુકરણીય ગણાવી. તેમણે જણાવ્યું કે, મંત્રીગણ અને વરિષ્ઠ અધિકારીઓ દ્વારા રજૂ કરાયેલા વિચારો અને માર્ગદર્શન દેશમાં નીતિ-નિર્માણ અને વહીવટી સુધારાઓ માટે દિશાદર્શક સાબિત થશે. આ માટે તેમણે મુખ્યમંત્રી સહિત તમામ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 3:22 pm

ઝાલોદના પાવડીમાં સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ:સાંસદ જશવંતસિંહ ભાભોરે ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા, સરકારની નીતિઓની સરાહના કરી

ઝાલોદ તાલુકાના પાવડી ખાતે એસ.આર.પી. ગ્રુપમાં સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા આયોજિત સાંસદ ખેલ સ્પર્ધા (લોકસભા)નો પ્રારંભ થયો. સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે આ સ્પર્ધા ખુલ્લી મુકાઈ હતી. આ પ્રસંગે સાંસદ સહિત અન્ય મહાનુભાવોએ ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, સરકારની રમતગમત પ્રોત્સાહક નીતિઓને કારણે દેશને ઉત્તમ ખેલાડીઓ મળી રહ્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારા ઓલિમ્પિકમાં ખેલાડીઓ ગત વખત કરતાં વધુ સારું પ્રદર્શન કરીને દેશને વધુ મેડલ અપાવશે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ખેલ મહોત્સવ તથા સાંસદ ખેલ સ્પર્ધા જેવા કાર્યક્રમો દ્વારા નવા ખેલાડીઓને પ્લેટફોર્મ મળી રહ્યું છે. પ્રાચીન ગ્રંથોમાં વર્ણવેલી ૬૪ અને ૭૨ કળાઓમાં રમતગમતનું પણ મહત્ત્વનું સ્થાન છે, અને સરકાર તેના વિકાસ માટે સતત પ્રોત્સાહન આપી રહી છે. દાહોદના ખેલાડીઓ અત્યંત પ્રતિભાશાળી હોવાનું જણાવતાં સાંસદે કહ્યું કે, રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે આ ખેલાડીઓએ દાહોદનું નામ રોશન કર્યું છે. તેમણે આ સ્પર્ધામાં પણ ઉત્તમ પ્રદર્શન કરવા માટે ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને મંચ પરથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહાનુભાવોએ વિવિધ સ્પર્ધાઓનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય મહેશ ભૂરિયા, જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, પ્રાંત અધિકારી એ.કે. ભાટિયા, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો, અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં ખેલાડીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 3:20 pm

હત્યા કેસનો ફરાર કેદી ઝડપાયો:રાજકોટ જેલમાંથી પેરોલ જમ્પ કરીને ભાગ્યો હતો, જામનગર પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડ્યો

જામનગર પેરોલ ફર્લો સ્કવોડે હત્યાના ગુનામાં સજા પામેલા એક કેદીને ઝડપી પાડ્યો છે. આ કેદી રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પરથી ફરાર થયો હતો અને તેને જામનગરના અંબર ચોકડી વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. જામનગર જિલ્લાના પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીએ પેરોલ ફર્લો રજા પરથી ફરાર થયેલા કેદીઓને પકડવા માટે સૂચના આપી હતી. આ સૂચનાના આધારે જામનગર એલ.સી.બી.ના પી.આઈ. વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ એસ્કોન્ડર પેરોલ ફર્લો સ્ક્વોડના પી.એસ.આઈ. એમ.વી. ભાટિયા અને સ્ટાફ ટેકનિકલ અને હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરીને કામગીરી કરી રહ્યા હતા. ઝડપાયેલા કેદીનું નામ મહમદ ઉર્ફે મેમુડો ઇશાકભાઇ ખાટકી છે, જે જામનગરના હુસેની ચોક, ખાટકી વાસનો રહેવાસી છે. તે જામનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ૨૩/૨૦૦૫ આઈ.પી.સી. ૩૦૨, ૧૪૭, ૧૪૮ મુજબના ગુનામાં રાજકોટ મધ્યસ્થ જેલનો પાકા કામનો કેદી નંબર-૪૬૮૬૯ હતો. ગુજરાત હાઈકોર્ટના આદેશથી તેને પેરોલ રજા પર મુક્ત કરવામાં આવ્યો હતો. તેને તા. ૦૩/૦૯/૨૦૨૫ના રોજ જેલ ખાતે પરત ફરવાનું હતું, પરંતુ તે આજદિન સુધી પરત ન ફરતા ફરાર થઈ ગયો હતો. તેની વિગતો ICIS એપ્લિકેશનની મદદથી મેળવવામાં આવી હતી. પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફ સલીમભાઈ નોયડા, ગોવિંદભાઈ ભરવાડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહિપાલભાઈ સાદિયા, હાર્દિકભાઈ ભટ્ટ અને દિલીપસિંહ જાડેજાને બાતમીદારો દ્વારા માહિતી મળી હતી કે કેદી GJ.10.***** નંબરની રીક્ષામાં નીકળ્યો છે. આ બાતમીના આધારે તાત્કાલિક નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટર પાસેથી મળેલી ચોક્કસ માહિતી મુજબ, સદર રીક્ષા જામનગરના અંબર ચોકડી અને જૂના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં હાજર હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કેદી મહમદ ઉર્ફે મેમુડો ખાટકીને શોધી કાઢ્યો અને તેને પકડી પાડી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી દીધો હતો. આ કામગીરીમાં એસ્કોન્ડર પેરોલ ફર્લો સ્કવોડના પી.એસ.આઈ. એમ.વી. ભાટિયા, એ.એસ.આઈ. ગોવિંદભાઈ ભરવાડ, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઈ નોયડા, પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહિપાલભાઈ સાદિયા, હાર્દિકભાઈ ભટ્ટ, તથા પોલીસ કોન્સ્ટેબલ દિલીપસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજા જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 3:19 pm

બનાસકાંઠામાં 16 ચોરી-લૂંટના કેસનો મુદ્દામાલ પરત અપાયો:'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ માલ-સામાન ભોગ બનનારને સુપરત કરાયો

બનાસકાંઠા જિલ્લા પોલીસે ચોરી અને લૂંટના 16 ગુનાઓનો મુદ્દામાલ સફળતાપૂર્વક રિકવર કર્યો છે. 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત આ મુદ્દામાલ ભોગ બનનાર મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં સોના-ચાંદીના દાગીના, હીરા, મોબાઈલ ફોન અને વાહનો સહિતની કિંમતી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. પરત કરાયેલા મુદ્દામાલમાં ત્રણ સોના-ચાંદીના દાગીના ચોરીના કેસ, એક હીરા ચોરીનો બનાવ, નવ મોબાઈલ ચોરીના કેસ અને ચાર વાહન ચોરીના કેસનો સમાવેશ થાય છે. વાહન ચોરીના કેસોમાં બે મોટરસાયકલ, એક સ્વિફ્ટ કાર અને એક ટ્રેક્ટર-ટ્રોલીનો મુદ્દામાલ પણ ભોગ બનનારને પાછો મળ્યો છે. પાલનપુર પૂર્વ-પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી એક મોટી સોનાની ચોરીનો ભેદ ઉકેલી મુદ્દામાલ પરત કરાયો હતો. આ ગુનો ટેકનિકલ સર્વેલન્સ, ઇન્ટેલિજન્સ અને સીસીટીવી ફૂટેજની મદદથી ઉકેલવામાં આવ્યો હતો. આ ઉપરાંત, CEIR પોર્ટલના માધ્યમથી નવ ચોરાયેલા અથવા ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢીને તેમના મૂળ માલિકોને સુપરત કરવામાં આવ્યા હતા. હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ચાંદીના દાગીનાની લૂંટનો મુદ્દામાલ પણ પરત અપાયો છે. પાથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મંદિરમાં થયેલી ચોરીના દાગીના, ઝુમ્મર અને દાનપેટીમાંથી ચોરાયેલો મુદ્દામાલ પણ મંદિરના ટ્રસ્ટીઓ અને પૂજારીઓને પરત સોંપવામાં આવ્યો હતો. આ તમામ કામગીરી જિલ્લા પોલીસ સ્ટેશનના સ્ટાફ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. આ અંગે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે જણાવ્યુ હતું કે આ કુલ ત્રણ જેટલા ગુનાના સોના-ચાંદીના દાગીનાના મુદ્દામાલ પાછા આપવામાં આવેલ છે. જેમાં એક પાલનપુર પૂર્વ-પશ્ચિમ પોલીસ સ્ટેશનની એક સોનાની બહુ મોટી ચોરી હતી, જે ટેકનિકલ સર્વેલન્સ, ઇન્ટેલિજન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલ છે. સીસીટીવીની મદદથી ડિટેક્ટ કરવામાં આવેલ છે. જેના સિવાય એક હીરા ચોરીની પણ મુદ્દામાલ, હીરાનો પાછો આપવામાં આવેલ છે. આના સિવાય નવ જેટલા મોબાઇલ જે ચોરી થયેલ હોય અથવા ખોવાયેલ હોય, તેઓને CEIR પોર્ટલના માધ્યમથી શોધી કાઢીને જે તે મૂળ માલિકને સોંપવામાં આવેલ છે. આ સિવાય જે વાહન ચોરી છે, જેમાં બે બાઈક, એક સ્વિફ્ટ ગાડી અને એક ટ્રેક્ટર-ટ્રોલીને પણ પાછા આપવામાં આવેલ છે. હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચાંદીના દાગીનાના જે લૂંટનો બનાવ બનેલો હતો, તે લૂંટના બનાવના ચાંદીના દાગીના પણ પાછા આપવામાં આવેલ છે. પાથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એક મંદિર ચોરી થયેલ હતી, આ પવિત્ર મંદિરના જે દાગીના છે, ઝુમ્મર હોય અથવા દાનપેટીમાં મુદ્દામાલ હોય, તેઓને પણ આ જ મંદિરના જે ટ્રસ્ટી છે, પૂજારી છે, તેઓને પાછા આપવામાં આવેલ છે. આ તમામ કામગીરી પોલીસ સ્ટેશનના સ્ટાફ અને એલસીબી દ્વારા કરવામાં આવેલ હતી અને તેઓ દ્વારા કરેલ આ સારી કામગીરીના કારણે જે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસનો અભિગમ છે કે જેની જે મુદ્દામાલ છે, તે પાછો આપવામાં આવે, તેના તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત. તો આ તમામ જે ચોરી અથવા ખોવાયેલ મોબાઇલ હતા, એ આ જ વર્ષના હતા, તો બહુ ટૂંક સમયમાં તેઓને આ મુદ્દામાલ પાછા આપવા આવ્યા છે ભોગ બનનાર મમતા બેને જણાવ્યું હતું કે હું અમદાવાદથી મારા પિયર સોજીત્રા નિકળી હતી બસ દ્વારા. બસમાં મારો બેગ હતું , જેમાં મારું 15-16 તોલા સોનું હતું, ₹50,000 રોકડા હતા. રસ્તામાં કોઈકે મારો બેગ ચોરી કરી લીધો. જ્યારે હું સાંદેસરા પહોંચી, રાજસ્થાન, તો મેં જોયું મારો બેગ નહોતો. તો પછી મેં કોલ કર્યો, મેં પાછું ત્યાં પોલીસકર્મીઓ ને જાણકારી આપી. તો બસવાળાએ જણાવ્યું કે જે છોકરાઓ રસ્તામાં બેઠા હતા, તે પાલનપુર ઉતર્યા. તો હું પાછી પાલનપુર આવી. પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં મેં રિપોર્ટ નોંધાવી. પછી ત્યાં પોલીસવાળાઓએ મારી ખુબજ મદદ કરી અને ગુજરાત પોલીસે પણ મદદ કરી. એમની મદદને કારણે મારું બધુંમુદ્દમાલ મને પાછું મળી ગયું.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 3:14 pm

સિંગલ જજના ચુકાદા સામે ડબલ જજની બેન્ચ સમક્ષ અપીલ:સાબરમતીના બળદેવનગરના રહેવાસીઓનો મકાન ખાલી કરવા AMCની નોટિસને હાઇકોર્ટમાં પડકાર ફેંક્યો'તો, સિંગલ જજે અરજી નકારી હતી

ગુજરાત હાઈકોર્ટમાં સિંગલ જજ દ્વારા અમદાવાદના સાબરમતીમાં આવેલ અચેર ગામના બળદેવનગર વિસ્તારમાં રહેતા 29 રહેવાસીઓ દ્વારા દાખલ કરેલી અરજીઓને નકારી દેવાઈ હતી. સાથે જ સિંગલ જજે પોતાના ચુકાદા ઉપર બે સપ્તાહનો સ્ટે મૂક્યો હતો. જે પૂર્ણતાના આરે છે, ત્યારે રહેવાસીઓએ સિંગલ જજના ચુકાદાને ડબલ જજની બેન્ચ સમક્ષ પડકારતા તાત્કાલિક સુનવણીની માગ કરી છે. તેઓએ કહ્યું હતું કે તેમના રહેણાક મકાન કોર્પોરેશન તોડી શકે તેમ છે. ત્યારે હાઇકોર્ટે આ મુદ્દે સોમવારે(1 ડિસેમ્બરે) સુનવણી રાખી છે. બળદેવ નગરના 29 રહેવાસીઓની હાઇકોર્ટમાં અરજી સાબરમતી તાલુકામાં બળદેવ નગરના 29 રહેવાસીઓએ AMCની મકાન ખાલી કરવાની નોટિસ સામે હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ 29 અરજદારોએ એડવોકેટ વિક્રમ ઠાકોર મારફતે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં કહેવાયું હતું કે, 21 મેના રોજ AMC દ્વારા તેમને 07 દિવસમાં મકાનો ખાલી કરી દેવા નોટિસ પાઠવવામાં આવી હતી. આ વિસ્તાર બળદેવ નગર, અચેરમાં છે. અહીં 1984માં રોડ બનાવવાની TP સ્કીમમાં જોગવાઈ કરાઈ હતી. પરંતુ જમીનના મૂળ માલિકે તેના પ્લોટ પાડી લોકોને ભાડે આપ્યા હતા. તેઓ 60 વર્ષથી અહીં રહી રહ્યા છે. 24 મીટર પહોળો TP રોડ બનાવવાની વાતબળદેવનગરને સ્લમ ક્લિયરન્સ એરિયા જાહેર કરાયો છે. છત્તા તેના રીડેવલપમેન્ટની કોઈ વાત કરવામાં આવી નથી. તેઓએ કાનૂની રીતે વીજળી, પાણીના કનેક્શન મેળવેલ છે અને AMCનો ટેક્સ પણ ભરે છે. અહીં 24 મીટર પહોળો TP રોડ બનાવવાની વાત છે. આમ 1984ની TP સ્કિમનો અમલ 41 વર્ષ બાદ કરાઈ રહ્યો છે. અહીં 100 જેટલા પાકા મકાનો તૂટતા 01 હજાર જેટલા લોકોને અસર થશે. ખરેખરમાં TP સ્કિમ 1984ની હવાલો અને ભારત 2036માં ઓલિમ્પિકની યજમાની કરે તેવી શકયતાઓને જોતા આ વિસ્તારમાં વિકાસ કરાઈ રહ્યો છે. જેમાં 24 મીટર પહોળો રોડ બનાવવાની વાત છે. ટાઉન પ્લાનિંગ સ્કીમ ફાઇનલાઈઝ, પડકારાઈ નથીસરકારી વકીલની દલીલ મુજબ અહીં ટાઉન પ્લાનિંગ સ્કીમ ફાઇનલાઈઝ થઈ ચૂકી છે. તે દરમિયાન તેને પડકારવામાં આવેલ નથી. એક વખત ટાઉન પ્લાનિંગ સ્કીમ ફાઈનલ થઈ જાય ત્યારબાદ રોડ બનાવવા માટે જગ્યા ખાલી કરવી જ પડે. આ માટે સરકારી વકીલે કોર્ટના અગાઉના ચુકાદા પણ હાઇકોર્ટ સમક્ષ મૂક્યા હતા. AMC ના જણાવ્યા મુજબ TP સ્કીમના ફાઈનલાઈઝેશનને કોર્ટ સમક્ષ ચેલેન્જ કરાયેલ નથી. હાઈકોર્ટે આદેશને બે અઠવાડિયા સુધી સ્થગિત રાખ્યો'તોસિંગલ જજે નોંધ્યું હતું કે અરજદારોને અપીલમાં આપવામાં આવેલી સૂચના મુજબ જગ્યા ખાલી કરીને શાંતિપૂર્ણ રીતે સત્તાધિકારીઓને સોપવાની રહેશે. સાથે જ સિંગલ જજે અરજદારોને વૈકલ્પિક રહેઠાણ માટે યોગ્ય સત્તાધિકારીઓ પાસે અરજી કરવાની છૂટ આપી. હાઈકોર્ટે તેના આદેશને બે અઠવાડિયા સુધી સ્થગિત રાખ્યો હતો. જેથી રહેવાસીઓ અપીલ કરી શકે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 3:10 pm

ભરૂચની રૂંગટા વિદ્યાભવનમાં આપદા વ્યવસ્થાપન, ફાયર સેફ્ટી કાર્યક્રમ:પાલિકાના ફાયર અધિકારીઓએ વિદ્યાર્થીઓને તાલીમ આપી

ભરૂચના સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રૂંગટા વિદ્યાભવન તથા રૂકમણીદેવી રૂંગટા વિદ્યાલયના પટાંગણમાં આજે નગરપાલિકા ભરૂચના ફાયર સેફટી વિભાગ દ્વારા આપદા પ્રબંધન અને ફાયર સેફટી અંગેનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. ફાયર ઓફિસર શૈલેષ સાસિયા, સાવંત ભરવાડ અને તેમની ટીમે વિદ્યાર્થીઓને અગ્નિસુરક્ષા તથા આપદા સંજોગોમાં કરવાના પગલાં અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 6 થી 10ના આશરે 500 વિદ્યાર્થીઓ અને 50 જેટલા શિક્ષકમિત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન કુદરતી તથા માનવસર્જિત આપદાઓની સ્થિતિમાં તાત્કાલિક પ્રતિભાવની રીતો, આગ લાગ્યાની વિવિધ પરિસ્થિતિઓ, ફાયર એક્સટિંગ્યુઇશરનો યોગ્ય ઉપયોગ,બિલ્ડિંગ અવેક્યુએશન ડ્રીલ અને સલામત અસેમ્બલી પોઈન્ટનું મેનેજમેન્ટ અંગે સરળ તથા પ્રાયોગિક રીતે માહિતી આપવામાં આવી હતી. ફાયર ટીમે તાત્કાલિક મદદ માટે ઉપયોગમાં લેવાતા ફોન નંબર તેમજ આપદા સમયે શાંતિપૂર્ણ અને ઝડપી નિર્ણય લેવાની ક્ષમતા વિકસાવવાની જરૂરીયાત અંગે પણ વિદ્યાર્થીઓને અવગત કરાવ્યા હતા. કાર્યક્રમ વિદ્યાર્થીઓ તથા શિક્ષકો માટે જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક સાબિત થયો હતો. વિદ્યાર્થીઓએ પ્રેક્ટિકલ તાલીમ મારફતે આગ અથવા આપદા જેવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે આત્મવિશ્વાસ પ્રાપ્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 3:08 pm

સગીરાનું યુવકે અપહરણ કર્યું, રાજસ્થાનથી બંને પકડાયા:8 માસની ગર્ભવતી દીકરીએ માતા-પિતા પાસે જવાની મનાઈ કરી, સુરતમાં પરિવારે 11 મહિના સુધી પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા'તા

સુરતના પુણા વિસ્તારમાંથી 11 મહિના પહેલા એક 15 વર્ષની સગીરાને એક યુવક ભગાવીને લઈ ગયો હતો. પરિવારજનો દ્વારા આ મામલે પુણા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. દરમિયાન પોલીસ દ્વારા યુવકને સગીરા સાથે રાજસ્થાનથી પકડી પાડવામાં આવ્યા હતાં. જોકે સગીરા 8 માસ ગર્ભવતી હોવાનું જાણીને પરિવાર પણ ચોકી ઉઠ્યો હતો. પોલીસ દ્વારા આરોપી યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે ત્યારે સગીરાને નારી સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવી છે. હાલ સગીરાની ઉંમર 16 વર્ષ છે અને ગર્ભપાત કરાવવાની પણ મનાઈ કરી રહી છે. અપહરણ થયાના 7 મહિના થવા છતાં પણ દીકરી અંગે કોઈ ભાળ ન મળતા પરિવારજનો પોલીસને પગે પડીને પોતાની દીકરીને પરત લાવવા માટે પણ આજીજી કરી હતી. યુવક સગીરાને અપહરણ કરીને ભગાવી ગયોમળતી માહિતી પ્રમાણે, ગત 27 ડિસેમ્બર 2024ના રોજ પુણા વિસ્તારમાં રહેતા એક પરિવારની 15 વર્ષીય દીકરીને તુષાર નામનો યુવક ભગાવી ગયો હતો. આ મામલે પરિવારજનો દ્વારા પુણા પોલીસ સ્ટેશનમાં તુષાર નામના યુવક વિરુદ્ધ સગીરાને અપહરણ કરીને ભગાવી ગયો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પરિવારજનો રોજબરોજ પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા હતા. સગીરાના પિતા સવાર અને સાંજ એમ બે ટાઈમ પોલીસ સ્ટેશન જતા હતા અને પોતાની દીકરીની ભાળ મળી કે નહીં તે અંગે પૂછપરત કરતા હતાં. પરિવારે પોલીસને પગે લાગીને દીકરીને પરત લાવવા આજીજી કરીડિસેમ્બર 2024થી જુલાઈ 2025 સુધીમાં પરિવારજનો દ્વારા ભાજપના નેતાઓ અને પોલીસ કમિશનર સુધીનાને આ બાબતે રજૂઆત કરી હતી. જોકે છતાં પણ દીકરીની કોઈ ભાળ ન મળતા અને પોલીસ દ્વારા અમે શોધખોળ કરી રહ્યા છીએ તેવા રટણને લઈને પરિવારજનો રસ્તા ઉપર બેનર સાથે ન્યાય આપોના સૂત્રોચાર સાથે સીતાનગર ચોકડી પર ઉતરી આવ્યા હતાં. આ અંગે જાણ થતા પુણા પોલીસ દોડી આવી હતી તે દરમિયાન પરિવારજનો દ્વારા પોલીસને પગે લાગીને પોતાની દીકરીને પરત લાવવા માટે આજીજી કરી હતી. આરોપી યુવક સગીરાને સુરતથી રાજસ્થાન લઈ ગયો15 વર્ષની દીકરીના અપહરણ થયાના 11 મહિના બાદ થોડા દિવસ પહેલા આરોપી તુષારને સગીરા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી સગીરાને લઈને સુરતથી રાજસ્થાન અને ત્યારબાદ અલગ અલગ રાજ્યોમાં ફર્યો હતો. આરોપી તમિલનાડુ સુધી છેલ્લા 11 મહિના સુધીમાં ભાગતો ફર્યો રહ્યો હતો. દરમિયાન સુરત પોલીસને બાતમી મળતા બંનેને ઝડપીને સુરત લઈ આવ્યા હતા. સગીરાને આઠ માસનો ગર્ભઆરોપીની પૂણા પોલીસે ધરપકડ કરી હતી, જોકે, સગીરાને આઠ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. આ બાબતે પરિવારજનો પણ જાણીને ચોંકી ગયા હતા. સગીરાએ માતા-પિતા પાસે જવાની મનાઈ કરીઆ સાથે જ સગીરા પણ તેના માતા-પિતા પાસે જવાની મનાઈ કરતી હોવાથી સ્મીમેર હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ત્યાંથી તેને રજા આપવામાં આવતા સગીરાને નારી સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવી છે. હાલ સગીરાની ઉંમર 16 વર્ષ છે અને ગર્ભપાત કરાવવાની પણ મનાઈ કરી રહી છે. પરિવારે 11 મહિના સુધી પોલીસ સ્ટેશનના ધક્કા ખાધાપરિવારને અત્યારે એવી વિડંબણામાં મુકાયો છે કે, જે દીકરી માટે 11 મહિના સુધી પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા, નેતાઓની ઓફિસના ધક્કા ખાધા, ઠેર ઠેર દીકરીની શોધખોળ કરી અને હવે જ્યારે તે મળે છે તો તે આઠ માસથી ગર્ભવતી છે અને તે પણ હવે માતા પિતા પાસે આવવા પણ તૈયાર નથી. પરિવારજનો પણ આ બાબતે મૂંઝવણમાં મુકાયો છે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 2:44 pm

પાટણમાં છોટા હાથીના ગુપ્ત ખાનામાંથી દારૂ ઝડપાયો:પોલીસે રૂ. 8.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 2 આરોપીને ઝડપી લીધા

પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ શહેરના 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. અમીર સહીદ સાહબ દરગાહની વાડીમાંથી છોટા હાથી વાહનમાં ઘોડાની આડશમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી આ દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. LCB એ બે આરોપીઓની ધરપકડ કરી કુલ રૂ. 8,25,190 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે દારૂ મંગાવનાર અન્ય બે આરોપીઓ ફરાર છે. પાટણ LCB પોલીસ ટાઉનમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, પાટણ જિમખાનાથી ખોડિયાર ચોકડી જતા રસ્તે આવેલ અમીર સહીદ સાહબ દરગાહની વાડીમાં છોટા હાથી ના પાછળના ડાલામાં ઘોડાને બાંધી તેની આડશમાં ગુપ્ત ખાનું બનાવી વિદેશી દારૂનો જથ્થો ભરવામાં આવ્યો હતો. આ બાતમીના આધારે, LCB એ તાત્કાલિક દરોડો પાડ્યો હતો. પોલીસે છોટા હાથીની તપાસ કરતાં, તેમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 485 બોટલ/ટીન મળી આવી હતી, જેની કિંમત રૂ. 2,65,190 આંકવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી દારૂ ભરીને આવનાર ભીલ વીરારામ માનારામ (રહે. બાઉડી કલા, બાડમેર, રાજસ્થાન) અને દારૂ મંગાવનાર ફારૂકી મુસ્તકીમ કયુમુદ્દીન (રહે. પાટણ બોકરવાડો)ની ધરપકડ કરી હતી. જોકે, દારૂ મંગાવનાર અન્ય બે આરોપીઓ ફારૂકી સદ્દામ કયુમુદ્દીન અને ફારૂકી આરીફ કયુમુદ્દીન (બંને રહે. પાટણ બોકરવાડો) સ્થળ પર હાજર મળી આવ્યા નહોતા અને તેઓ ફરાર છે. પોલીસે દારૂ ઉપરાંત રૂ. 5,00,000/-ની કિંમતનું છોટા હાથી વાહન, રૂ. 10,000/-ની કિંમતના બે મોબાઈલ ફોન અને રૂ. 50,000/-ની કિંમતનો એક ઘોડો સહિત કુલ રૂ. 8,25,190/-નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ પાટણ સીટી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓનો અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ રહેલો છે. વીરારામ વિરુદ્ધ વિઠલાપુર પોલીસ સ્ટેશનમાં, જ્યારે મુસ્તકીમ અને સદ્દામ વિરુદ્ધ પાટણ તાલુકા અને સીટી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અગાઉ પ્રોહિબિશન અને અન્ય ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 2:43 pm

ધાનેરા પોલીસે નેનાવા બોર્ડર પરથી MD ડ્રગ્સ ઝડપ્યું:અમદાવાદના ત્રણ શખ્સો 47.100 ગ્રામ MD ડ્રગ્સ સાથે પકડાયા

બનાસકાંઠાના ધાનેરા પોલીસે નેનાવા બોર્ડર પરથી MD ડ્રગ્સની હેરાફેરી ઝડપી પાડી છે. વાહન ચેકિંગ દરમિયાન એક રીક્ષામાંથી 47.100 ગ્રામ MD ડ્રગ્સ સાથે અમદાવાદના ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે કુલ ₹3,52,550 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મુદ્દામાલમાં ₹1,41,300 ની કિંમતનું MD ડ્રગ્સ, ત્રણ મોબાઈલ ફોન, ₹750 રોકડા અને ઓટો રીક્ષા નો સમાવેશ થાય છે. ઝડપાયેલા આરોપીઓમાં અમદાવાદના ફૈસલ ઇકબાલ વલીમહમદ મેમણ, મહોમદશાહરુખ મહેબૂબ હુસેન મીરઝા અને ફૈઝાન અહેમદ શેખનો સમાવેશ થાય છે. ફૈસલ મેમણ મૂળ મહારાષ્ટ્રના વસઈનો રહેવાસી છે, જ્યારે મહોમદશાહરુખ મીરઝા જુહાપુરા અને ફૈઝાન શેખ સરખેજ, અમદાવાદના રહેવાસી છે. પ્રાથમિક તપાસ મુજબ, આ MD ડ્રગ્સ રાજસ્થાનથી ગુજરાતમાં લાવવામાં આવી રહ્યું હતું. બનાસકાંઠા પોલીસે આંતરરાજ્ય ડ્રગ્સ હેરાફેરીના આ પ્રયાસને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો છે. ધાનેરા પોલીસ સ્ટાફ દ્વારા નેનાવા ચેકપોસ્ટ પર નિયમિત વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન આ રીક્ષા શંકાસ્પદ જણાતા તેને રોકવામાં આવી હતી અને તલાશી લેતા ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 2:34 pm

રૂ.7 હજાર માટે દુકાનદારે વેપારીને જાનવરની જેમ માર્યો:પીડિતે કહ્યું: મારો આખો ચહેરો ફૂલાવી દીધો, હાથ અને નાક તોડી નાખ્યું, WWFની જેમ ઉચકી અને ઘસડી-ઘસડીને લઈ ગયો ને માર મારતો રહ્યો

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં દુકાનના 7 હજાર રૂપિયા બાકી બિલના કારણે પડોશી દુકાનદારે બીજા દુકાનદાર પર જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. આ મામલે આરોપી દુકાનદાર સામે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા પ્રશાંત એપાર્ટમેન્ટમાં રહેતા ફરિયાદી રાજીશકુમાર શિયપા (ઉં.વ. 47)એ જણાવ્યું હતું કે, તેઓ કારેલીબાગ વિસ્તારમાં આવેલ મેન્ટલ હોસ્પિટલની સામે ‘શ્રી ગુરુવાયુરપ્પન ટાયર સર્વિસ’ નામની ટાયરની દુકાન ચલાવે છે. તેઓ પોતાની દુકાને હતા અને રસ્તા પર ઘાયલ થયેલા કૂતરાનો વીડિયો બનાવી એનિમલ રેસ્ક્યુ ટીમને જાણ કરવાની તૈયારી કરી રહ્યા હતા. આ જ સમયે પડોશમાં આવેલી ‘સત્વજીવન પ્રોવિઝન સ્ટોર’ના માલિક સત્યેન માધવલાલ પટેલ (રહે. વી.આઈ.પી. રોડ, કારેલીબાગ)એ તેમને પોતાની દુકાને બોલાવ્યા હતા. જ્યાં તેમણે રાજીશકુમારને જણાવ્યું હતું કે, તેઓ અને તેમના પરિવારજનો દુકાનેથી વેફર, પાન-પાનીપુરીનો મસાલો તથા અન્ય ઘરવખરીનો સામાન લઈ જાય છે અને તેનું આશરે 7 હજાર રૂપિયા બિલ બાકી છે. જેની તાત્કાલિક ચુકવણી કરવા દબાણ કર્યું હતું. રાજીશકુમારે પૈસા હાલ ન હોવાથી થોડા દિવસમાં ચૂકવી આપવાનું કહ્યું હતું, જેથી સત્યેન પટેલ ગુસ્સે થઈ ગયા હતા. તેમણે બૂમાબૂમ કરવાનું શરૂ કર્યું હતું અને રાજેશકુમારને ગાળો આપી હતી અને ધક્કો મારીને નીચે પાડી દીધા હતા. ત્યારબાદ નાક પર મુક્કો માર્યો હતો અને ઢોર માર માર્યો હતો અને ડાબા હાથના કાંડા પર હાથ વડે માર મારીને ગંભીર ઈજા પહોંચાડી હતી. હુમલા બાદ રાજીશકુમારના નાકમાંથી લોહી વહેવા લાગ્યું અને હાથમાં તીવ્ર દુખાવો થયો હતો. તેઓ ત્યાંથી નીકળીને પોતાના મામા પીયુષભાઈ ઠાકોરભાઈ અમીન (રહે. શિવશક્તિ બંગલોઝ, મેન્ટલ હોસ્પિટલ સામે કારેલીબાગ, વડોદરા)ના ઘરે ગયા હતા. જેથી તેમના મામા તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ડોક્ટરે એક્સ-રે કરાવતાં રાજીશકુમારના નાક તથા ડાબા હાથના કાંડામાં ફ્રેક્ચર હોવાનું નિદાન થયું છે. હાલ તેમની સારવાર ચાલુ છે કારેલીબાગ પોલીસે આરોપી સત્યેન માધવલાલ પટેલ સામે ગુનો નોંધીને વધુ વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી રાજીશકુમાર શિયપાએ જણાવ્યું હતું કે, સત્યજીવન પ્રોવિઝન સ્ટોરમાંથી હું ખરીદી કરું છું અને ચાર પાંચ મહિને 5 હજાર જેટલા રૂપિયા આપી દઉં છું. આ વખતે 7 હજાર રૂપિયા બિલ થઈ ગયું છે. આ વખતે પૈસા આપવામાં એક મહિનો મોડું થઈ ગયુ હતો. જેથી રૂપિયા માંગીને દુકાન માલિક સત્ય મને મારવા લાગ્યો હતો. મેં એને કહ્યું હતું કે, બે દિવસમાં આપું છું. પણ એ માન્યો નહોતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, તેને મારો ફોન ખેંચી લીધો હતો, પછી ફોન પડી ગયો મારો. પછી મને એકદમથી હાથથી ધક્કા માર્યો એટલે હું ફૂટપાથમાં પડી ગયો હતો અને મને જાનવરની જેમ મરવા લાગ્યો હતો અને આખો ચહેરો ફૂલાવી દીધો હતો. નાક તોડી નાખ્યું હતું અને હાથ પણ તોડી નાખ્યો હતો અને WWFની જેમ ઉચકીને અને ઘસડી-ઘસડીને લઈ ગયો હતો અને માર મારતો રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 2:34 pm

દિલ્હીના પ્રદૂષણ મુદ્દે સંસદમાં ચર્ચા કરાવવા રાહુલ ગાંધીની માંગ, કેજરીવાલે કહ્યું- એર પ્યોરિફાયર પરથી GST હટાવો

(Image - Ians) Rahul Gandhi on Delhi Air Pollution: દિલ્હીમાં છેલ્લા ઘણાં દિવસોથી હવામાન ખરાબ છે. આજે શુક્રવારે પણ રાજધાનીની હવાની ગુણવત્તા 'ખૂબ જ ખરાબ' રહી હતી અને તેનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 384 નોંધાયો હતો.

ગુજરાત સમાચાર 28 Nov 2025 2:32 pm

મોરબીમાં નશાકારક દ્રવ્યોનું બેફામ વેચાણ:કોંગ્રેસનો આક્ષેપ, જિજ્ઞેશ મેવાણીના સમર્થનમાં SPને આવેદન

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોર ચીખલીયાની આગેવાની હેઠળ કોંગ્રેસના આગેવાનોએ આજે મોરબી એસપી કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ આવેદનપત્રમાં મોરબી જિલ્લામાં દારૂ, ડ્રગ્સ અને ગાંજા સહિતના નશાકારક દ્રવ્યોના બેફામ વેચાણને તાત્કાલિક બંધ કરાવવાની માંગ કરવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાનોએ એસપીને 300 જેટલી જગ્યાઓની યાદી પણ સુપરત કરી હતી, જ્યાં દેશી દારૂ અને અન્ય નશાકારક પદાર્થોનું વેચાણ થતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, પોલીસની કથિત હપ્તાખોરીને કારણે આ દૂષણ દિવસેને દિવસે વધી રહ્યું છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાએ આક્ષેપ કર્યો હતો કે મોરબીમાં દેશી દારૂ, વિદેશી દારૂ, ગાંજો અને ડ્રગ્સ જેવી નશાકારક વસ્તુઓનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. આ આવેદનપત્ર કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના સમર્થનમાં પણ આપવામાં આવ્યું હતું, જેમણે થોડા દિવસો પહેલા શિવનગરમાં સભા યોજી પોલીસ મથકે ઉગ્ર રજૂઆત કરી હતી. આ આવેદનપત્ર સુપરત કરતી વખતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયા ઉપરાંત શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજય કોટડીયા, માળીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંદિપ કાલરીયા, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ દમયંતીબેન નિરંજન, અમુ હુંબલ અને મહેશ રાજકોટીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 2:30 pm

હવે ભદ્ર પરિસર ફેરિયા અને પાથરણાવાળાઓ માટે બંધ:AMCએ બે વૈકલ્પિક પ્લોટ ફાળવ્યા છતાં 844 ફેરિયાઓ બેસવા તૈયાર નહીં; બેનર મારી સૂચના આપી

અમદાવાદના નગર દેવી ગણાતા ભદ્રકાળી મંદિરના પાસે આવેલા ભદ્ર પરિસરમાંથી પાથરણાંવાળાઓને હટાવી દેવામાં આવ્યા છે. કુલ 844 જેટલા કાયદેસર માન્યતા ધરાવનાર પાથરણા વાળાઓને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઢાલગરવાડ વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટ અને પાનકોર નાકા નજીક પાર્કિંગના પ્લોટમાં જગ્યા ફાળવવામાં આવી છે. જેની જાહેર સૂચનાના બેનર પણ ભદ્ર પરિસરમાં લગાવી દેવામાં આવી છે. જોકે વૈકલ્પિક વ્યવસ્થા રૂપે ફાળવવામાં આવેલા બંને પ્લોટમાં પાથરણાંવાળા બેસવા માટે તૈયાર નથી. દિવાળી પહેલાથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લોટ ફાળવી દેવામાં આવ્યા હોવા છતાં પણ પાથરણાંવાળાઓ પ્લોટમાં બેસવા તૈયાર ન થતા હવે બેનર મારીને જાણ કરી દેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 2:24 pm

માતાની નજર સામે એક વર્ષની દીકરીને દીપડો ઉઠાવી ગયો:રસોઈ બનાવી રહેલી માત કઈ સમજે એ પહેલા જ બાળકીનો શિકાર કર્યો, દીપડાને પકડવા વનવિભાગે સાત સ્થળે પાંજરા ગોઠવ્યા

અમરેલી જિલ્લાના ધારીગીર પૂર્વ દલખાણીયા રેન્જમાં આવેલા ત્રબકપુર ગામમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. માતાની નજર સામે જ એક વર્ષની બાળકીને દીપડો ઉઠાવી ગયો હતો જે બાદ બાળકીનો શિકાર કર્યો હતો. બાળકીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયોઆ ઘટના ત્રબકપુર ગામમાં ખેડૂત પરષોત્તમ મોરીની વાડીમાં બની હતી, જ્યાં પરપ્રાંતીય મજૂર પરિવાર રહે છે. બાળકીની માતા રસોઈ બનાવી રહી હતી. જ્યારે બાળકી તેની બાજુમાં જ બેઠી હતી. આ દરમિયાન અચાનક દીપડો આવી ચડ્યો હતો. રસોઈ બનાવી રહેલી માતા કઈ સમજે એ પહેલા જ દીપડો બાળકીને ઉઠાવીને ભાગી ગયો હતો. જે બાદ બાળકીનો શિકાર કર્યો હતો. આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. દીપડાને પકડવા વનવિભાગે કવાયત હાથ ધરી ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક આર.એફ.ઓ., એ.સી.એફ. સહિત ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો પણ હાજર રહ્યો હતો. દીપડાને પકડવા માટે સાત પાંજરા ગોઠવવામાં આવ્યા છે. માનવભક્ષી બનેલા દીપડાને પકડવા માટે વનવિભાગે કવાયત હાથ ધરી છે. વન્યપ્રાણીઓના હુમલાની ઘટનાથી સ્થાનિકોમાં ભયની સાથે આક્રોશઅમરેલી જિલ્લામાં દીપડા અને સિંહો દ્વારા માનવ પર હુમલાના બનાવો સતત વધી રહ્યા છે, જેના કારણે ખેડૂતો અને ખેતમજૂરોમાં ભય અને આક્રોશ જોવા મળી રહ્યો છે. બે દિવસ પહેલા ખાંભાના ગીદરડી ગામમાં ખેતમજૂર મુકેશ સોલંકી (ઉ.34) વાડીમાં પાણી વાળી રહ્યા હતા, ત્યારે સિંહે તેમના પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત મુકેશભાઈને સારવાર માટે અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્રણ દિવસ પહેલા પાંચ વર્ષના બાળક પર સિંહણે હુમલો કર્યો હતોઆ ઉપરાંત, ત્રણ દિવસ પહેલા બગસરાના હામાપુર ગામની સીમમાં વાડી વિસ્તારમાં એક ખેતમજૂર પરિવારના પાંચ વર્ષના બાળક પર સિંહે હુમલો કરી તેનો શિકાર કર્યો હતો. આ ઘટના બાદ વનવિભાગની ટીમે મેગા ઓપરેશન હાથ ધરી સિંહણ અને તેના ચાર બચ્ચાંને પાંજરે પૂર્યા હતા. તેમને જૂનાગઢના ચક્કરબાગ ઝૂ ખાતે ખસેડવામાં આવ્યા છે. રાત-દિવસ સિંહો અને દીપડાઓ ખુલ્લેઆમ ફરીને હુમલાઓ કરી રહ્યા હોવાથી સ્થાનિક લોકોમાં વનવિભાગના સિનિયર ઓફિસરો અને ઉચ્ચ અધિકારીઓ પ્રત્યે નારાજગીનો માહોલ પ્રવર્તી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 2:18 pm

આરોગ્ય સેવાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી:'ગુજરાત સરકાર 108' લખેલી એમ્બ્યુલન્સમાંથી 2.64 લાખનો દારૂ જપ્ત; પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દર્દીની શીટ નીચે છુપાવેલો જથ્થો ઝડપ્યો

મનુષ્યના જીવનની જીવનદાતા ગણાતી એમ્બ્યુલન્સનો ઉપયોગ હવે બૂટલેગરોએ દારૂની હેરાફેરી માટે શરૂ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોગ્ય સેવાની આડમાં દારૂ સપ્લાય કરવાના બૂટલેગરોના ઇરાદા પર પાવી જેતપુર પોલીસે સફળતાપૂર્વક પાણી ફેરવી દીધું છે અને મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યોપાવી જેતપુર પોલીસને બાતમી મળી હતી કે, એક એમ્બ્યુલન્સમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે શિહોદ જનતા ચોકડી પાસે સઘન વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બાતમી મુજબની મારૂતિ વાન એમ્બ્યુલન્સ આવતાં પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો. જોકે, પોલીસને જોતા જ એમ્બ્યુલન્સના ચાલકે ગાડી ભગાવી મૂકી હતી અને પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયો હતો. દર્દીની શીટ નીચે છુપાવેલો દારૂનો જથ્થો ઝડપાયોચાલક ફરાર થઈ ગયા બાદ પાવી જેતપુર પોલીસે આ ખાનગી એમ્બ્યુલન્સમાં તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન, જે શીટ પર દર્દીને સુવડાવવામાં આવે છે તેની નીચે ગુપ્ત રીતે સંતાડીને લઈ જવાતી વિદેશી દારૂની કુલ 928 બોટલ મળી આવી હતી. પોલીસે આ દારૂનો જથ્થો કબજે કર્યો હતો, જેની બજાર કિંમત આશરે રૂ. 2,64,480/- થાય છે. દારૂ અને એમ્બ્યુલન્સ સહિત પોલીસે કુલ રૂ. 5,14,480/- નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. '108 ગુજરાત સરકાર'ના નામે દારૂની ખેપઆ એમ્બ્યુલન્સના ઉપયોગ પરથી સ્પષ્ટ જણાય છે કે, બૂટલેગરો દ્વારા પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે જ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. લોકોને જીવનદાન આપવાના બદલે દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતી આ એમ્બ્યુલન્સને ઝડપી પાડીને પાવી જેતપુર પોલીસે બૂટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. હાલમાં પોલીસ ફરાર ચાલક અને આ નેટવર્ક પાછળના મુખ્ય સૂત્રધારોને પકડવા માટે વધુ તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 2:09 pm

લગ્ન વાંચ્છુક યુવતીનો સો. મીડિયામાં ઠગ સાથે ભેટો:ઓસ્ટ્રેલિયાના યુવકે લગ્નની લાલચ આપી, મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે પકડ્યો હોવાનું કહી ડરાવીને 94 હજાર પડાવ્યાં

સોશિયલ મીડિયાના માધ્યમથી લગ્ન માટે યુવક શોધવામાં એક યુવતીને મોઘું વળતર ચૂકવવું પડ્યું છે. યુવકને શોધવા માટે યુવતીએ સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો, જેમાં એક યુવકે ઓસ્ટ્રેલિયામાં રહેતો હોવાનું કહી યુવતી સાથે વાતચીત શરૂ કરી હતી. લગ્નની લાલચ આપી યુવકે યુવતીને પોતાની વાતોમાં ફસાવી દીધી હતી. જે બાદ ઓસ્ટ્રેલિયાથી મુંબઈ મળવા માટે આવ્યો હોવાનું કહ્યું હતું. મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે પકડ્યો હોવાનું કહી યુવતી પાસેથી 94 હજાર રૂપિયા પડાવવામાં આવ્યા હતા. જે મામલે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આધારકાર્ડ સહિતના પુરાવા આપી યુવતીને વિશ્વાસમાં લીઘીબાપુનગર વિસ્તારની એક યુવતીના લગ્ન બાકી હતા, જેથી પતિને શોધવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો. સોશિયલ મીડિયાના ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર યુવતીએ લગ્ન માટેની જાહેરાત જોઈ હતી. જાહેરાતમાં આપેલી લિંક ખોલી યુવતીએ લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે બાદ યુવકે પોતાનું નામ રવિ શર્મા જણાવી યુવતીને મેસેજ કર્યો હતો. થોડા વાતચીત શરૂ થયા બાદ યુવકે પોતાની ઓળખ આપી ઓસ્ટ્રેલિયામાં રહેતો હોવાનું જણાવ્યું હતું. આધારકાર્ડ સહિતના પુરાવા આપી યુવતીને વિશ્વાસમાં લેવામાં આવી હતી. યુવકે પ્રપોઝ કરતા યુવતીએ લગ્ન માટે હા પણ કહીજે બાદ થોડા દિવસ વાતચીત થયા બાદ યુવકે ઇમોશનલ વાતો કરી યુવતીનો વધુ વિશ્વાસ કેળવ્યો હતો. યુવકે પોતાની પત્નીનું અકસ્માતમાં મોત થયું છે અને 9 મહિનાની દીકરી હોવાનું કહેતા યુવતીને તેના પર લાગણી થવા લાગી હતી. જેથી થોડા દિવસ બાદ યુવકે લગ્નની લાલચ યુવતીને પ્રપોઝ કહ્યું હતું, જે દરમિયાન યુવતીએ લગ્ન કરવાની હા પાડી હતી. આ સમગ્ર બાબતની જાણ યુવતી તેની સાથે કામ કરતા એક યુવક સાથે શેર કરી હતી. યુવતી સાથે કામ કરતા યુવકને રવિ શર્મા નામના વ્યક્તિ પર શંકા હોવાથી આ પ્રકારના લોકો સાથે વાતચીત ન કરવા કહ્યું હતું. યુવકે મુંબઈની ટિકિટ પણ યુવતીને બતાવીજેથી યુવતી સાથી કર્મચારીની વાત માની યુવક સાથે વાતચીત બંધ કરી દીધી હતી. જે બાદ યુવકે અન્ય નંબર પરથી યુવતીનો સંપર્ક કર્યો હતો. રવિ શર્મા નામના યુવકે બે દિવસ બાદ ઓસ્ટ્રેલિયાથી મુંબઈ આવતો હોવાનું કહી ટિકિટના ફોટો પણ યુવતીને મોકલી આપ્યા હતા. બે દિવસ બાદ યુવકે મુંબઈ એરપોર્ટ આવી યુવતીને વોટ્સએપ પર કોલ કર્યો હતો. મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે પકડ્યો હોવાનું કહી યુવતી પાસે રૂપિયાની માંગણી કરી હતી. યુવતીને વિશ્વાસ આવે તે માટે કહી યુવકે કસ્ટમ અધિકારી કહીને એક વ્યક્તિ પાસે વાતચીત કરાવી હતી. કસ્ટમના નામે 95 હજાર પડાવી ફોન બંધ કરી દીધોયુવતી સાથેની વાતચીત કસ્ટમ અધિકારી બનીને વાતચીત કરતા વ્યક્તિએ યુવક અને તેની દીકરીને બહાર જવા માટે 25 હજારનો ટેક્સ ભરવા માટે કહ્યું હતું. તેમજ અલગ મુદ્દાઓને લઈને યુવતી પાસે રૂપિયા માંગવામાં આવ્યા હતા. જો રૂપિયા નહીં આપે તો કસ્ટમ વિભાગ ઘર સુધી આવશે તેવી ધમકી આપી યુવતી પાસેથી 94 હજાર રૂપિયા પાડવામાં આવ્યા હતા. જે બાદ યુવકનો અચાનક નંબર બંધ થઈ જતા તપાસ કરતા પૈસા ખોરી રીતે પડાવ્યા હોવાનું સામે આવ્યું હતું. જેથી યુવતીએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 1:47 pm

'દારુબંધી નામની, ગેરકાયદેસર દારૂનો વેપાર':કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના આક્ષેપ, કહ્યું-ગૂગલ મેપ પર દારૂના અડ્ડાઓના લોકેશન

કોંગ્રેસની જન આક્રોશ રેલીનો આજે આઠમો દિવસ છે અને ગાંધીનગર પહોંચી છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ આજે રાજ્યની કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે સરકાર પર કટાક્ષ કરતા દારૂબંધીના કાયદાને નામ પૂરતો ગણાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે રાજ્યમાં દારૂ અને ડ્રગ્સ સહેલાઈથી દરેક જગ્યાએ ઉપલબ્ધ છે અને સમગ્ર ગેરકાયદેસર વ્યવસાયને સત્તાધીશો અને ભાજપના નેતાઓના સંરક્ષણ હેઠળ હપ્તાના ધંધા દ્વારા ચલાવવામાં આવે છે. સરકાર માત્ર બુટલેગરોને બચાવવાની ભાષા બોલે છે: અમિત ચાવડાઅમિત ચાવડાએ કહ્યું કે ગેરકાયદેસર દારૂના કારણે અનેક પરિવારો તૂટી રહ્યા છે, યુવા પેઢીનો નાશ થઈ રહ્યો છે, અનેક બહેનો-દીકરીઓ વિધવા બની રહી છે, છતાં રાજ્ય સરકાર અને ગૃહમંત્રી મૌન ધારણ કરીને માત્ર બુટલેગરોને બચાવવાની ભાષા બોલે છે. 'પીવાનું પાણી નથી મળતું, પણ દારૂ સહેલાઈથી મળી જાય છે'તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં લોકો પોતે કહે છે કે પીવાનું પાણી નથી મળતું, પરંતુ દારૂ સહેલાઈથી મળી જાય છે.” તેમણે આરોપ લગાવ્યો કે હાલની સરકાર ઈમાનદાર પોલીસ અધિકારીઓનું મનોબળ તોડે છે અને તેમને સાઈડ પોસ્ટિંગમાં ધકેલી દે છે, જ્યારે જે અધિકારીઓ ઊઘરાણું કરી આપે છે તેમને જ સારું પોસ્ટિંગ આપવામાં આવે છે. ખાતરની અછત બાબતે ચાવડા એ જણાવ્યું કે, ખાતરની ગંભીર અછત છે ખાતરની કાળાબજારી થઈ રહી છે ખેડૂતો લાઈનોમાં ઉભા રહેવા મજબુર છતાં પણ ખાતર નથી મળી રહ્યું ખેડૂતોનો આક્ષેપ છે કે રાજસ્થાનમાં બ્લેકમાં ખાતર વેચી દેવામાં આવે છે ગૂગલ મેપ પર દારૂના અડ્ડાઓના લોકેશનગામે ગામ જનતા જાણે છે ગૂગલને પણ ખબર છે પણ સંસ્કારી ગૃહમંત્રીને ખબર નથી એનું કારણ એ છે કે દર મહિને કરોડો રૂપિયા એમની તિજોરીમાં આ દારૂ ડ્રગ્સના હપ્તાના પહોંચે છે. સીએમ પાસેથી ગૃહ ખાતું લઈને હર્ષ સંઘવીને કેમ આપવામાં આવ્યું એ પણ ગુજરાતની જનતા પૂછે છે કારણ કે એમના જ રાજમાં સૌથી વધુ ડ્રગ્સ ગુજરાતમાં વધ્યું છે. અંતમાં તેમણે કહ્યું કે આ જ ભાજપ સરકારનો વાસ્તવિક ચહેરો છે, જેમાં કાયદો અને પ્રજાની સુરક્ષા કરતા હપ્તા અને રાજકીય સંરક્ષણને પ્રાધાન્ય આપવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 1:43 pm

ગોધરાના લાડપુર નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત:કેબિનમાં ફસાયેલા ચાલકનું ફાયર બ્રિગેડે રેસ્ક્યૂ કર્યું

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના લાડપુર ગામ નજીક બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો, જેને ગોધરા નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમે ભારે જહેમત બાદ સુરક્ષિત બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, લાડપુર પાસેથી પસાર થતા માર્ગ પર બે ટ્રક સામસામે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રકના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતના કારણે ટ્રકનું સ્ટેયરિંગ અને કેબિનના પતરા દબાઈ જતાં ચાલક અંદર ફસાઈ ગયો હતો અને તે જાતે બહાર નીકળી શકે તેમ નહોતો. ઘટનાની જાણ થતાં જ ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટરો બચાવ કામગીરી માટેના આધુનિક સાધનો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે અત્યંત સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરી, દબાયેલા ભાગોને દૂર કરી ચાલકને ઈજા ન થાય તે રીતે બહાર કાઢ્યો હતો. ફાયર ટીમના સમયસર અને સઘન પ્રયાસોને કારણે ચાલકનો જીવ બચી ગયો હતો. રેસ્ક્યુ કરાયેલા ઈજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક ઘટનાસ્થળે હાજર એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 28 Nov 2025 1:38 pm