સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના નેતા અને યુવા વિંગના મહામંત્રી શ્રવણ જોશીની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સસ્તા અનાજના વેપારીઓને ટાર્ગેટ બનાવી સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાની અને લાયસન્સ રદ કરાવવાની ધમકી આપી ખંડણી ઉઘરાવતા શ્રવણ જોશી અને તેના સાગરીત સંપત ચૌધરી વિરુદ્ધ ગોડાદરા પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. છેલ્લા 36 કલાકમાં આ નેતા વિરુદ્ધ આ બીજી ફરિયાદ નોંધાતા રાજકીય આલમમાં પણ ભારે ચર્ચાઓ જાગી છે. શું છે સમગ્ર મામલો?ગોડાદરા વિસ્તારમાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા અને પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર (સસ્તા અનાજની દુકાન) ચલાવતા કમલેશભાઈ મદનલાલ ખટીકે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત 21 સપ્ટેમ્બર 2025ના રોજ સવારે 9 વાગ્યે શ્રવણ જોશી અને તેનો સાગરીત સંપત ચૌધરી તેમની દુકાને આવ્યા હતા. શ્રવણ જોશીએ પોતાની ઓળખ 'આમ આદમી પાર્ટીના કાર્યકર' તરીકે આપી વેપારી પર કાળાબજારના ખોટા આક્ષેપો કરવાનું શરૂ કર્યું હતું. 'દુકાન શાંતિથી ચલાવી હોય તો, દર મહિને 1 લાખનો હપ્તો આપવો પડશે'આપ નેતાએ વેપારીને ધમકાવતા કહ્યું હતું કે, તમે ગ્રાહકોને ઓછું અનાજ આપી લાખો રૂપિયા કમાઓ છો. હું તમારું લાયસન્સ કેન્સલ કરાવી દઈશ અને દુકાનને તાળા મરાવી દઈશ. આટલું જ નહીં, શ્રવણ જોશીએ અગાઉ અન્ય એક વેપારીનો વીડિયો વાયરલ કર્યો હોવાનું જણાવી ધમકી આપી હતી કે જો દુકાન શાંતિથી ચલાવવી હોય તો દર મહિને 1 લાખ રૂપિયાનો હપ્તો આપવો પડશે. આ પણ વાંચો:સુરતમાં 'AAP' નેતાના સાગરીતનો હપતો લેતો VIDEO:સસ્તા અનાજના વેપારીઓને કાળાબજારી કહી વીડિયો બનાવી ડરાવી લાખો ઉઘરાવતા આરોપીએ વેપારીને ડરાવીને 80,000 પડાવ્યા હતાફરિયાદીના જણાવ્યા અનુસાર, શ્રવણ જોશી એનકેન પ્રકારે વેપારીઓને હેરાન કરવા માટે ગ્રાહકોને ઉશ્કેરીને દુકાને ઝઘડો કરવા મોકલતો હતો. સરકારી કચેરીઓમાં ખોટી રજૂઆતો કરી દુકાન બંધ કરાવી દેવાના ડરથી, વેપારીએ અંતે સમાધાનનો માર્ગ અપનાવ્યો હતો. શ્રવણના સાગરીત સંપત ચૌધરી સાથે વાતચીત કર્યા બાદ 80,000 રૂપિયા આપવાનું નક્કી થયું હતું. પૈસાની લેતી-દેતીનો વીડિયો મોબાઈલમાં કેદ ગત 5 ઓક્ટોબર 2025ના રોજ રાત્રે આદર્શ સ્કૂલ પાસે જાહેર રોડ પર સંપત ચૌધરીએ વેપારી પાસેથી 80,000 રૂપિયા રોકડા સ્વીકાર્યા હતા અને ખાતરી આપી હતી કે હવે શ્રવણ જોશી તમારા વિરુદ્ધ વીડિયો નહીં બનાવે. જોકે, જાગૃત વેપારીએ આ પૈસાની લેતી-દેતીનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો, જે હવે પોલીસ તપાસમાં મુખ્ય પુરાવો બનશે. સસ્તા અનાજના દુકાનદારોને નિશાન બનાવતોઆપ નેતા શ્રવણ જોશી માત્ર એક વેપારી નહીં, પરંતુ વિસ્તારના અનેક સસ્તા અનાજના દુકાનદારોને નિશાન બનાવતો હોવાનું બહાર આવ્યું છે. અન્ય એક વેપારી નિલેશભાઈ મોરે પાસેથી પણ શ્રવણ અને સંપતે 1 લાખ રૂપિયા પડાવ્યા હતા. જ્યારે નિલેશભાઈએ પોલીસ ફરિયાદ કરવાની હિંમત બતાવી, ત્યારે અન્ય ભોગ બનનાર વેપારીઓ પણ સામે આવ્યા છે. શ્રવણ જોશી અને તેના સાગરીત પર વધુ એક ગુનો નોંધાયોસુરતની ગોડાદરા પોલીસે શ્રવણ જોશી અને સંપત ચૌધરી વિરુદ્ધ ગુનાહિત કાવતરું રચવા, ધમકાવીને પૈસા પડાવવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એક બાજુ આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર મુક્તિની વાતો કરે છે, ત્યારે બીજી તરફ તેના જ પદાધિકારીઓ વેપારીઓ પાસે 'હપ્તા' ઉઘરાવતા પકડાતા પક્ષની છબી ખરડાઈ છે. હાલમાં પોલીસ આ મામલે શ્રવણ જોશી અને તેના સાગરીતની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી રહી છે. તપાસ દરમિયાન આ તોડબાજીના નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે પણ બહાર આવવાની શક્યતા છે.
આજે યુવાનો ડાન્સ અને ડિનરની પાર્ટી યોજી થર્ટી ફર્સ્ટની ઉજવણી કરતા હોય છે ત્યારે રાજકોટની વિરાણી હાઈસ્કૂલના વિદ્યાથીઓએ નવા વર્ષને અનોખી રીતે આવકારી છે. જેમાં ધોરણ 9 થી 12 ના 900 વિદ્યાર્થીઓએ 23,997 વસ્ત્રો એકત્ર કર્યા છે. જે વસ્ત્રો ઝૂંપડપટ્ટીના ગરીબોને વિતરણ કરી વસ્ત્રદાન મહાદાનનો સંકલ્પ સાકાર કરવામાં આવ્યો હતો. જેમાં કોમર્સના 200 વિદ્યાર્થીઓ દ્વારા પોકેટમનીમાંથી એક માસ ચાલે તેટલું રાશન ખરીદી દિવ્યાંગોને વિતરિત કરવામાં આવ્યું હતુ. પ્રિન્સિપાલ હરેન્દ્રસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે, એક અલગ અંદાજમાં 31 ડિસેમ્બરની માનવીય અભિગમ સાથે ઉજવણી કરી હતી. જેમાં સેવાની હૂંફ અંતર્ગત સ્કૂલના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી તેમજ આસપાસના વિસ્તારમાંથી સારા, પહેરવાલાયક વસ્ત્રો એકઠા કર્યા હતા અને કુલ 23997 વસ્ત્રો શાળામાં અર્પણ કર્યા હતા. જેમાં સ્વેટર, જેકેટ, ટોપી, મફલર, સાલ, ધાબળા જેવા ગરમ વસ્ત્રો તથા અન્ય વસ્ત્રો જેવા કે પેન્ટ, શર્ટ, સાડી, ડ્રેસનો સમાવેશ થાય છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, આરએસએસના સહયોગથી રાજકોટ શહેરની ઝૂપડપટ્ટી જેવી કે મીઠાના અગરિયા કચ્છ, રૈયાધાર, લોહાનગર, આજીડેમ, કુવાડવા રોડ, મોરબી રોડ વગેરેમાં જરૂરિયાત મંદ લોકોને અર્પણ કરવામાં આવશે. સૌથી વધુ વસ્ત્રો એકત્રિત કરનાર વિદ્યાથીઓ તથા વર્ગ શિક્ષકનું સી.જે ગ્રુપ ના સહયોગથી સન્માન ક૨વામાં આવ્યું હતું, આજે યુવાધન પશ્વિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી ડાન્સ, ડાઈન અને વાઈન પાછળ મબલખ ખર્ચ કરે છે. ત્યારે વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનું સામાજિક સેવાનું આ કાર્ય તેમના માટે પ્રેરણારૂપ છે. આજે માનવી જયારે સ્વાર્થી, સ્વચ્છનંદી, સ્વકેન્દ્રી બની રહ્યો છે ત્યારે 13 થી 17 વર્ષના આ વિદ્યાર્થીઓએ સમાજ માટે પોતાનું યોગદાન પુરૂ પાડી પાર્ટીમાં બેફામ ખર્ચ કરતા નબીરાઓ તથા અન્ય માટે અનુકરણીય ઉદાહરણ પૂરુ પાડયું છે. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. આ પ્રસંગે પુરુષાર્થ યુવક મંડળના કિશોરભાઈ રાઠોડ, માધ્યમિક શિક્ષણ સમિતિના રસીલાબેન સાકરિયા, ચિરાગભાઈ ધામેચા (સી.જે. ગ્રુપ), આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયા તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં સહકાર આપી 31 ડીસેમ્બરની ઉજવણી કરી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ચક્ષુદાન કરાવવાના સંકલ્પ લેવડાવ્યા હતા. ધોરણ 10 ના વિદ્યાર્થી દક્ષ સંઘાણીએ જણાવ્યું હતું કે, અમારી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વસ્ત્રો એકત્ર કરવામાં આવ્યા છે જે રૈયાધાર સહિતના વિસ્તારોમાં ગરીબ પરિવારોને વિતરણ કરવામાં આવશે. થર્ટી ફર્સ્ટની અનોખી ઉજવણી કરવામાં આવી છે. આ ખૂબ જ પુણ્યનું કામ હોવાથી વિદ્યાર્થી તરીકે ખૂબ સારુ લાગે છે.
સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની નજર ચૂકવી લાખોના દાગીનાની ચોરી કરતી મહારાષ્ટ્રની કુખ્યાત પારધી ગેંગનો પશ્ચિમ રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને સુરત રેલવે પોલીસ (GRP)એ પર્દાફાશ કર્યો છે. આ ગેંગની મોડસ ઓપરેન્ડી એ હતી કે તેઓ પોતાની માસૂમ બાળકીઓ પાસે ચોરી કરાવતા હતા. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ઇન્સ્ટાગ્રામ આઈડીના આધારે આરોપીઓને દબોચી લઈ 15.30 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. બાળકીઓએ પર્સમાંથી સોનાના દાગીના ભરેલું નાનું પર્સ ચોરી લીધુંગત તારીખ 16 નવેમ્બર, 2025ના રોજ રાજસ્થાનના સમદડીથી ગંગાનગર-દાદર એક્સપ્રેસમાં મુસાફરી કરી વૃદ્ધ દંપતી નેમીચંદ જૈન અને ઉમરાવદેવી સુરત આવ્યા હતા. પ્લેટફોર્મ નંબર 2 પર ટ્રેનમાંથી ઉતરી જ્યારે તેઓ લિફ્ટમાં ચડી રહ્યા હતા, ત્યારે ભીડનો લાભ લઈ બે બાળકીઓએ ઉમરાવદેવીના પર્સમાંથી સોનાના દાગીના ભરેલું નાનું પર્સ ચોરી લીધું હતું. આ પર્સમાં મંગળસૂત્ર, ચેઈન, બંગડીઓ અને વીંટી સહિત કુલ 15,60,700 ની કિંમતના દાગીના હતા. પોલીસ શંકાસ્પદ ઈન્સ્ટાગ્રામ ID પરથી આરોપીઓ સુધી પહોંચીચોરીની ફરિયાદ બાદ રેલવે LCB અને સુરત રેલવે પોલીસે તપાસ શરૂ કરી હતી. CCTV ફૂટેજમાં બે સગીર બાળકીઓ દાગીના ચોરતી અને ત્યારબાદ એક સ્ત્રી-પુરુષ સાથે સ્ટેશનની બહાર જતી જોવા મળી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ પરિવાર પાંડેસરા વિસ્તારમાં ઝૂંપડું બાંધીને રહેતો હતો, પરંતુ ગુનાના દિવસે જ તેઓ ત્યાંથી ગાયબ થઈ ગયા હતા. પોલીસને તપાસમાં એક શકમંદનું Instagram ID મળી આવ્યું હતું. ટેકનિકલ સેલના ASI દ્વારા આ આઈડીના IP એડ્રેસ ટ્રેક કરવામાં આવ્યા, જેનાથી આરોપીનો નવો મોબાઈલ નંબર હાથ લાગ્યો હતો. આ ટેકનિકલ મદદથી પોલીસને જાણવા મળ્યું કે ગેંગ હાલ મહારાષ્ટ્રના અમરાવતીમાં છે. સુરત રેલવે સ્ટેશનના પાર્કિંગ પાસેથી દંપતી અને 4 બાળકીઓ ઝડપાયાટેકનિકલ સર્વેલન્સ હેઠળ રહેલા આરોપીઓ જેવો ફરી સુરત પહોંચ્યા, કે તુરંત જ એલ.સી.બી.ની ટીમે વોચ ગોઠવી સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1ના પાર્કિંગ પાસેથી દંપતી અને 4 બાળકીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં ટીના ઉર્ફે અંજુ સુમિત શિંદે (ઉ.વ. 30, રહે. અમરાવતી, મહારાષ્ટ્ર) અને તેના પતિ સુમિત શત્રુઘ્ન કાલે (ઉ.વ. 30, રહે. અમરાવતી, મહારાષ્ટ્ર) નો સમાવેશ થાય છે. ભીડભાડવાળા સ્થળોએ ફુગ્ગા કે રમકડાં વેચવાનો ઢોંગ કરતાપૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે, તેઓ ભીડભાડવાળા સ્થળોએ ફુગ્ગા કે રમકડાં વેચવાનો ઢોંગ કરતા હતા. તેઓ પોતાની 9 અને 7.5 વર્ષની દીકરીઓ પાસે ભીખ મંગાવતા અને મોકો મળતા જ મુસાફરોનો સામાન ચોરતા. આરોપીઓ માનતા હતા કે નાની બાળકીઓ પર કોઈ શંકા ન કરે અને જો પકડાય તો પણ પોલીસ તેમને છોડી દેશે. સુરત રેલવે સ્ટેશન પર અન્ય બે અને એક ભોપાલ રેલવે સ્ટેશન પર ચોરીની કબૂલાતઆ ગેંગે સુરત રેલવે સ્ટેશન પર અગાઉ કરેલી અન્ય બે ચોરીઓ અને ભોપાલ રેલવે સ્ટેશન પરની એક ચોરીની પણ કબૂલાત કરી છે. આરોપીઓએ સુરતમાં 15.60 લાખના દાગીનાની ચોરી, લિફ્ટમાં 50,000 રોકડાની ચોરી, સોનાની બુટ્ટી અને પેન્ડલની ચોરી અને ભોપાલમાં રોકડ ભરેલા પર્સની ચોરી કરી હતી. કોર્ટે આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાઆરોપીઓએ ચોરીના દાગીના અમરાવતીના વેપારી પવન મહેશજી ભિંડાને વેચ્યા હતા. પોલીસે અમરાવતી જઈ વેપારીની ધરપકડ કરી હતી. વેપારીએ દાગીના ઓગાળી નાખ્યા હતા, જેમાંથી તૈયાર કરેલી 109.800 ગ્રામ સોનાની લગડી (કિંમત 15.30 લાખ) પોલીસે કબજે કરી છે. હાલમાં કોર્ટે આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ ગેંગે અન્ય કેટલા રાજ્યો કે શહેરોમાં આ પ્રકારે બાળકોનો ઉપયોગ કરી ગુના આચર્યા છે.
મહેસાણામાં પરા તળાવથી જાણીતા સ્વામી વિવેકાનંદ લેકનો પિકનિક પોઈન્ટ તરીકે વિકાસ કરાયા બાદ આ તળાવમાં આવતું ગટરનું પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું. તેમજ ચોમાસાના પાણીથી તળાવ ભરાય તે માટે વરસાદી લાઈન ચાલુ રાખેલી છે. જોકે, હૈદરીચોક તરફથી આવતી વરસાદી લાઈન મારફતે ગટરનું ગંદું પાણી તળાવમાં ઠલવાતાં દુર્ગંધ ફેલાવા લાગી છે. તળાવમાં ચોમાસા પછી જંગલી વેલ જામતાં કામદારો મારફતે વેલ કાઢવામાં આવી છે. તળાવમાં હૈદરીચોક સાઈડથી આવતી વરસાદ લાઈનની પાઈપ પણ વેલમાં ઢંકાયેલી હતી એટલે આવતું પાણી દેખાતું નહોતું. હવે વેલ દૂર થતાં પાઈપ દેખાવા લાગી અને સવારે આ વરસાદી લાઈનમાંથી ગટરનું ગંદું પાણી તળાવમાં ઠલવાતું હોઈ સ્થાનિક લોકોએ મનપામાં જાણ કરી હતી. તો બીજી બાજુ આ તળાવમાં લોકોને હરવા ફરવા અને બાળકોને રમવા માટે સુવિધા ઉભી કરવામાં આવી હતી.જોકે હાલમાં આ તળાવમાં જ્યાં જોવો ત્યાં ગંદકી,લાઈટો વગરના થાંભલા,અને તળાવમાં ઝાડીઓ ઊગી નીકળી છે.ત્યારે તળાવમાં આવતા ગટર ના પાણીના કારણે દુર્ગંધ મારતા લોકો એ બાજુ જવાનું પણ ટાળી રહ્યા છે.ત્યારે તંત્ર દ્વારા યોગ્ય જાળવણી કરવામાં ન આવતા હાલમાં આ તળાવ ની હાલત બિસમાર જોવા મળી રહી છે. *કનેક્શન નો તાગ મેળવી ગટર નું પાણી બંધ કરવામાં આવશે-અધિકારી*આ અંગે ડેપ્યુટી કમિશનર દર્શનસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે જે જે જગ્યાએ આ જોડાણ આપેલું છે તે જગ્યાઓનો સર્વે ચાલુ છે. આ સર્વે પૂર્ણ થયા બાદ આ તમામ જગ્યાઓએ કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવશે અને જે પણ શખ્સો અથવા જે પણ આવા કોઈ દુકાન હોય અથવા નાની મોટી કોઈ ઇન્ડસ્ટ્રી હોય તો એને પણ નોટિસ આપી અને દાખલા રૂપ એક કાર્યવાહી કરવામાં આવશે. દર્શનસિંહ ચાવડાએ આગળ જણાવ્યું કે, આ તળાવને 'સ્વામી વિવેકાનંદ તળાવ' પણ કહેવામાં આવે છે અને પરા તળાવ નામે પણ મહેસાણા વાસીઓમાં પ્રસિદ્ધ છે. લગભગ 2015 આસપાસ 8 કરોડના ખર્ચે તળાવનો વિકાસ કરવામાં આવ્યો હતો. હવે મહેસાણા મહાનગરપાલિકા બન્યા બાદ આ તળાવનું પુનઃ નિર્માણ અને પુનઃ વિકાસની કામગીરી અંદાજીત 7 કરોડથી વધુના ખર્ચે હાથ ધરવામાં આવેલી છે.લગભગ બે થી ત્રણ દિવસમાં સંપૂર્ણ કનેક્શનોનો તાગ મેળવી લેવામાં આવશે અને કનેક્શન કાપી પાણી બંધ કરવામાં આવશે. જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરો: વિપક્ષના પૂર્વ નેતાપૂર્વ વિપક્ષ નેતા કમલેશ સુતરિયાએ જણાવ્યું કે મહેસાણા મહાનગરપાલિકા ઠેર-ઠેર ગંદકી મુક્ત મહેસાણા અને સ્વચ્છ મહેસાણાની વાતો કરી રહેલ છે. પરંતુ મહેસાણા નગરપાલિકા હતી ત્યારે કરોડો રૂપિયાનો ખર્ચ કરી અને આ સુંદર તળાવ બનાવવામાં આવેલ, પરંતુ એ તળાવની અંદર અત્યારે મહેસાણા નગરપાલિકાની એજન્સી દ્વારા ભૂગર્ભનું ગંદુ પાણી છોડવામાં આવી રહેલ છે. ખરેખર સ્વચ્છ મહેસાણાની વાતો કરતા આ સત્તાધીશો કે આ અધિકારીઓને આ તળાવ દેખાતું નથી, અહીંયા બિલકુલ ગટરનું ગંદુ પાણી, ભૂગર્ભનું પાણી ઠલવવામાં આવી રહ્યું છે. મહેસાણાને ગંદુ કરવામાં આવે છે.મારી એવી માંગણી છે કે મહેસાણાના હાલના મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ એજન્સી અને જે કોઈ પણ જવાબદાર હોય આના માટે, એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.”
ગૂડ બાય 2025, વેલકમ 2026: આતશબાજી અને પૂરજોશ તૈયારીઓ સાથે નવા વર્ષને વધાવવા ગુજરાત સજ્જ
New Year 2026 in Ahmedabad: વર્ષ 2025 હવે ઈતિહાસના પાનામાં દફન થવાની તૈયારીમાં છે અને વિશ્વ આખું વર્ષ 2026ને આવકારવા માટે થનગની રહ્યું છે. ‘વેલકમ 2026’ના ઉત્સાહ સાથે ગુજરાતના યુવાધન અને પરિવારોમાં ભારે ઉમંગ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ જેવા મેટ્રો શહેરોમાં નવા વર્ષની ઉજવણી હવે પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાઈ છે, જ્યાં વિદેશી પાર્ટીઓને ટક્કર મારે તેવા ભવ્ય આયોજનો ક્લબો, હોટેલો અને ફાર્મ હાઉસમાં કરવામાં આવ્યા છે. અમદાવાદમાં મિની વેકેશન જેવો માહોલ: પ્રવાસન સ્થળો હાઉસફૂલ આ વખતે ક્રિસમસ અને ન્યૂ યર વીકેન્ડમાં આવતા હોવાથી પ્રવાસના શોખીન ગુજરાતીઓએ રાજ્યની બહાર દોટ મૂકી છે.
આણંદમાં ફાયર સેફ્ટી મોકડ્રિલ યોજાઈ:દાદાભાઈ નૌરોજી ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓને તાલીમ અપાઈ
આણંદમાં ફાયર સેફ્ટી અંગે જાગૃતિ લાવવા માટે શ્રી દાદાભાઈ નૌરોજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટડીઝ ઈન કોમર્સ ખાતે 'ફાયર અવેરનેસ મોકડ્રિલ'નું આયોજન કરવામાં આવ્યું હતું. કરમસદ-આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો, જેનો મુખ્ય હેતુ ભાવિ પેઢીમાં સુરક્ષા અને જાગૃતિ કેળવવાનો હતો. આ મોકડ્રિલ આણંદ ફાયર ઓફિસર ધર્મેશ ગોરના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. સબ ફાયર ઓફિસર હિંમત ભુરીયા, ફાયર ડ્રાઇવર રવિભાઈ સાબલિયા અને ફાયરમેન સતીશભાઈ બામણીયા સહિતના ફાયર સ્ટાફે ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આગ જેવી કટોકટીની પરિસ્થિતિમાં સ્વબચાવ અને અન્યના જીવ બચાવવા અંગેની પ્રાથમિક તાલીમ આપી હતી. મોકડ્રિલ દરમિયાન, ફાયર વિભાગ દ્વારા બચાવ કાર્ય માટેના વિવિધ આધુનિક ઉપકરણોનું પ્રાયોગિક નિદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને આગના પ્રકારો અને અગ્નિશામક ઉપકરણોનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો તેની જીવંત સમજૂતી આપીને માહિતગાર કરાયા હતા. આ પ્રસંગે ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, જો શહેરની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં નિયમિતપણે ફાયર અવેરનેસ તાલીમ આપવામાં આવે, તો યુવા પેઢીમાં સલામતી અંગેની સભાનતા વધશે. આનાથી ભવિષ્યમાં સર્જાતી જાન-માલની હાનિ અટકાવી શકાશે.
છેલ્લા ઘણા સમયથી બાંગ્લાદેશમાં ભારતીય હિન્દુ પર થઈ રહેલ અત્યાચારને લઈ આજે વડોદરામાં વિરોધ જોવા મળ્યો હતો. તાજેતરમાં જ બાંગ્લાદેશના મેમનસિંહ જિલ્લામાં એક કાપડ ફેક્ટરીની અંદર હિન્દુ કર્મચારીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. છેલ્લા 12 દિવસમાં બાંગ્લાદેશમાં હિન્દુની હત્યાની આ ત્રીજી ઘટના સામે આવી છે જેને લઈ વડોદરાના વિરોધ દર્શાવવામાં આવ્યો છે. 'બાંગ્લાદેશ મુર્દાબાદ' લખી અજાણ્યા શખ્સોએ વિરોધ નોંધાવ્યોબાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા જયુપીટર ચોકડી નજીક બાંગ્લાદેશનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ ચાર રસ્તા પર બાંગ્લાદેશ મુર્દાબાદ લખી અજાણ્યા લોકોએ વિરોધ નોંધાવ્યો છે. હિન્દૂઓ પર બાંગ્લાદેશમાં થઇ રહેલા અત્યાચારના પડઘા સ્વરૂપે લખવામાં આવ્યું છે. લખાણ પરથી વાહનોના પૈડા ફરી વળ્યામાંજલપુર શહેરના જ્યુપિટર ચાર રસ્તા પર લખાયેલ આ લખાણ કોણે લખ્યું છે તે હજુ સ્પષ્ટ થયું નથી. પરંતુ બાંગ્લાદેશમાં બની રહેલા ઘટનાને લઈ ચોક્કસ તેના પડઘા વડોદરામાં પડ્યા છે. આ સ્થળે બાંગ્લાદેશના રાષ્ટ્ર્રધ્વજ પર અહીંયાથી પસાર થતા વાહનોના પૈડા ફરી વળ્યા છે. ત્યારે આ જાહેર માર્ગ પર આ રીતે બાંગ્લાદેશ મુર્દાબાદનું લખાણ હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. 'આ લખાણ કોણે લખ્યું છે તે હજુ સ્પષ્ટ થયું નથી'-PIઆ મામલે અમે માંજલપુર પોલીસ મથકના પી. આઈ. એલ. ડી. ગમારા સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ બાબતે હજુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ કોને લખાણ લખ્યું છે હજુ સ્પષ્ટ થયું નથી.
પાલનપુર ટેલિફોન એક્સચેન્જ રોડ પર ટ્રક ઘૂસ્યો:ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકો અટવાયા
પાલનપુરના ટેલિફોન એક્સચેન્જ રોડ પર એક ટ્રક અચાનક ઘૂસી જતાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ઘટનાને કારણે માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. આ ટ્રાફિક જામમાં નાના વાહનોના ચાલકો અને રાહદારીઓ ફસાયા હતા. એક માર્ગીય રસ્તા પર ભારે ટ્રકના પ્રવેશથી ઇમરજન્સી વાહનો, જેમ કે 108 એમ્બ્યુલન્સ, ને પણ પસાર થવામાં મુશ્કેલી પડી હતી. આ પરિસ્થિતિને કારણે સામાન્ય અવરજવર સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી, જેના લીધે વાહનચાલકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
નશો કરીને નીકળ્યા તો જેલભેગા થશો:જામનગર પોલીસનું કડક ચેકિંગ, 700 પોલીસકર્મીઓ તૈનાત
જામનગર જિલ્લામાં 31મી ડિસેમ્બરની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે સુનિશ્ચિત કરવા માટે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ કડક બંદોબસ્ત અને વિશેષ ચેકિંગ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની વિશેષ ટીમ તૈનાત કરવામાં આવશે. બંદોબસ્તમાં પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની સહિત 4 DySP, 24 PI, 35 PSI, તેમજ પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ જવાન, ગ્રામ્ય રક્ષક દળ અને ટ્રાફિક સ્ટાફ મળીને કુલ 700 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ બજાવશે. દારૂબંધીની પ્રવૃત્તિઓને રોકવા માટે બોડી વોર્ન કેમેરા (206) અને બ્રેથ એનાલાઈઝર (52) નો ઉપયોગ કરવામાં આવશે. ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાશે અને નશો કરનારા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લામાં કુલ 8 આંતર-જિલ્લા ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે, જ્યાં વાહન ચેકિંગ સઘન બનાવાશે. પેટ્રોલિંગ માટે 30 ફોર-વ્હીલર, 27 જનરક્ષક બોલેરો અને 80 પોલીસ બાઈક સહિત કુલ 137 વાહનો તેમજ માઉન્ટેડ યુનિટ (ઘોડેસવાર) નો ઉપયોગ કરવામાં આવશે. મહિલાઓની સુરક્ષા માટે 16 “SHE TEAM” અને એન્ટી રોમિયો સ્કવોડની ટીમો તૈનાત રહેશે. LCB ટીમ પ્રોહિબિશન બુટલેગરો પર ખાસ નજર રાખશે અને તમામ રિસોર્ટ તથા ફાર્મ હાઉસ પર કડક ચેકિંગ કરશે. SOG ટીમ ડ્રગ્સ ડિટેક્શન કીટ દ્વારા નશીલા પદાર્થોનું સેવન કરનારાઓ પર વોચ રાખશે. સાયબર ટીમ સોશિયલ મીડિયા પર સતત મોનિટરિંગ કરશે અને વાંધાજનક પોસ્ટ મૂકનારાઓ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરશે. પોલીસ સ્ટેશનો દ્વારા જાહેર જગ્યાઓ, હોટલ, ધાબા, પ્રવાસી સ્થળો, ગેસ્ટ હાઉસ, ભીડભાડવાળી જગ્યાઓ અને ઔદ્યોગિક વિસ્તારોમાં સર્વેલન્સ સ્કવોડ દ્વારા ચેકિંગની કાર્યવાહી કરવામાં આવશે. જામનગર જિલ્લાનાં પ્રોહીબિશન બુટલેગર્સ તથા પ્રોહીબિશનનાં ધંધામાં પકડાયેલ ઇસમો ઉપર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) તથા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG) તથા પેરોલ એબસ્કોન્ડર સ્કોડ તથા સર્વેલન્સ સ્કવોડ ની સ્પેશયલ ટીમોની રચના કરીને વૉચ રાખવામાં આવશે.જામનગર જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ત્વરિત પ્રતિસાદ અને મદદ મળી તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ ટીમ દ્વારા મોનિટરિંગ રાખવામાં આવશે.
ભરૂચ જિલ્લા વકીલ બાર એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લા કોર્ટના એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ એચ.એસ. ગાંધી સામે વકીલો હેરાન-પરેશાન થવાના આક્ષેપોને લઈ ગાંધી ચિન્હ્યા માર્ગે હડતાલની જાહેરાત કરવામાં આવી છે.બાર એસોસિએશનના નિર્ણય અનુસાર,હાઈકોર્ટ દ્વારા યોગ્ય પગલાં લેવામાં ન આવે ત્યાં સુધી વકીલ મિત્રો દરરોજ એક કલાક માટે સંબંધિત જજની કોર્ટની બહાર હડતાલ કરશે. બાર એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજની કોર્ટમાં વકીલોને સતત અસુવિધા અને માનસિક હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો હોવાના આક્ષેપો કરાઈ રહ્યા છે.આ બાબતે કેટલાક વકીલોએ તાજેતરમાં નિમાયેલા ભરૂચ જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ પ્રદ્યુમનસિંહ સિંધાને લેખિત તથા મૌખિક રીતે રજૂઆત કરી હતી. આ મુદ્દે બાર એસોસિએશનની બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે,તારીખ 20 ડિસેમ્બરથી એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજની કોર્ટની બહાર ગાંધી ચિન્હ્યા માર્ગે હડતાલ શરૂ કરવામાં આવશે.બાર એસોસિએશનના જિલ્લા પ્રમુખે સ્પષ્ટ જણાવ્યું હતું કે,જ્યાં સુધી હાઈકોર્ટ દ્વારા આ મુદ્દે યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે. ભરૂચ જિલ્લા વકીલ બાર એસોસિએશનને સમર્થન આપવા માટે નર્મદા જિલ્લા વકીલ બાર એસોસિએશનના પ્રમુખ વંદના ભટ્ટ ભરૂચ આવી હડતાલમાં જોડાયા હતા. તેમણે જણાવ્યું હતું કે,ભરૂચ જિલ્લાના વકીલોના આંદોલનને નર્મદા જિલ્લા બાર એસોસિએશન નો સંપૂર્ણ ટેકો છે અને જો ભરૂચ જિલ્લા બાર એસોસિએશન દ્વારા આહ્વાન કરવામાં આવશે તો નર્મદા જિલ્લાના વકીલો પણ હડતાલ પર ઉતરશે.
રાજ્યભરમાં કોઈપણ બાંધકામ પર ફાયર પરમિશન રાજ્ય સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવી છે. એમાં પણ શૈક્ષણિક સંસ્થામાં પણ સ્કૂલઓને ફાયર NOC માટેનો નિયમ બનાવવામાં આવ્યો છે. સ્કૂલઓએ પૂરતા ફાયર સેફ્ટીના સાધનો લગાવીને ફાયર વિભાગ પાસે તેનું ઈન્સ્પેકશન કરાવી NOC લેવી ફરજિયાત કરવામાં આવી છે. પરંતુ હવે સ્કૂલ સંચાલકો તે નિયમમાં સુધારો કરવાની માંગ કરી રહ્યા છે. 15 મીટર કરતા ઓછી ઊંચાઈ હોય તેવું સ્કૂલઓને ફાયર સેફ્ટી માટેની NOC માટેના નિયમમાંથી છૂટ આપવામાં આવે તેવી શાળા સ્કૂલ સંચાલક મહામંડળ માંગ કરી રહ્યું છે. તો નિવૃત ફાયર અધિકારીનું માનવું છે કે બાળકોની સેફટીની ચિંતા કરીએ તો ફાયર સેફટીના નિયમમાં કોઈપણ પ્રકારની છૂટ આપવામાં આવે નહીં. હાઇકોર્ટમાં સરકારને પડકારવાની રાજ્ય સ્કૂલ સંચાલક મહામંડળની તૈયારી15 મીટર કરતા ઓછી ઊંચાઈ ધરાવતી સ્કૂલોને ફાયર સેફ્ટીના નિયમમાં છૂટ આપવા માટે માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે રાજ્ય શાળા સંચાલક મહામંડળે મુખ્યમંત્રી પાસે માંગ કરી છે. ફાયર સેફ્ટીના નિયમનું પાલન કરવામાં 15 મીટર કરતા ઓછી ઊંચાઈ ધરાવતી સ્કૂલઓને 10 લાખ જેટલો ખોટો ખર્ચ કરવો પડતો હોવાની મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. જો સરકાર નિયમોમાં છૂટછાટ નહીં આપે તો સુપ્રીમ કોર્ટના ચુકાદાના અર્થઘટન માટે હાઇકોર્ટમાં સરકારને પડકારવાની રાજ્ય સ્કૂલ સંચાલક મહામંડળ તૈયારી દર્શાવી રહ્યું છે. સ્કૂલ સંચાલકોની રજૂઆતને લઈને ફાયર વિભાગના નિવૃત અધિકારીનું માનવું છે કે જો નિયમોમાં છૂટછાટ આપવામાં આવે તો બાળકોની સલામતિ સામે પ્રશ્ન ઊભા થઈ શકે છે. '15 મીટર કરતા નીચું બિલ્ડિંગ હોય તો તેમાં ફાયર NOCની જરૂર રહેતી નથી'શાળા સ્કૂલ સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, ભારત સરકારના જે નિયમ છે તેમાં પણ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ 15 મીટર કરતા વધુ ઊંચાઈ ધરાવતા મકાન હોય તો તેને ફાયર NOC લેવાનો કાયદો લાગુ પડતો હોય છે. સુપ્રીકોર્ટના ડબલ જજની બેન્ચે એક ચૂકાદો આપ્યો જેમાં સ્પષ્ટ કહ્યું છે કે, 15 મીટર કરતા નીચું બિલ્ડિંગ હોય તો તેમાં ફાયર NOCની જરૂર રહેતી નથી. ગુજરાતમાં 9 મીટરનો નિયમ...ભાસ્કર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં અગ્નિશામક સેવા કચેરી છે તેના અધિકારીઓ સરકારને અને ચૂંટાયેલા નેતાઓને ગેરમાર્ગે દોરે છે, અને તે લોકો 9 મીટરની વાત લઈને બેઠા છે. જેથી 9 મીટરના દાયરાના કારણે સ્કૂલોને ફરજિયાત 10 લાખ જેટલો ખર્ચ કરવામાં આવે છે. સ્કૂલોમાં આજદિન સુધી ક્યાંય પણ આગ લાગી હોય તેવું સામે આવ્યું નથી. તેમ છતાં પણ 9 મીટરનો જે નિયમ છે તેમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે, કે આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે નહિતર અમારે નામદાર હાઇકોર્ટમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાના અર્થઘટન માટે જવું પડશે. જેથી સરકારને એવું લાગશે કે અમે સરકાર સામે બાયો ચડાવી છે. 15 મીટર સુધીના બિલ્ડિંગોમાં છૂટછાટ આપવા શાળા સંચાલકોની માગરાજેશ ભટ્ટે જણાવ્યું હતું કે, વાસ્તવિકમાં ચકાસવામાં આવે તો શૈક્ષણિક સંકુલોની અંદર ભૂતકાળમાં આગ લાગવાની ઘટનાઓ જે બની છે તેમાં ઊંચી બિલ્ડીંગ કરતા નીચી બિલ્ડીંગોમાં આગ લાગવાની ઘટના વધારે બની છે. 15 મીટર સુધીના બિલ્ડિંગોમાં છૂટછાટ આપવાની વાત કરવામાં આવી છે. સ્કૂલ સંચાલકોના ભરોસે આવતા બાળકોનો આ પ્રશ્ન છે. કાયદા પ્રમાણે જોગવાઈ હોય કે ન હોય પરંતુ બાળકોની નૈતિક જવાબદારી સ્વીકારવી જોઈએ. 'વિદ્યાર્થીઓની સલામતી માટે સ્કૂલ સંચાલકોએ જાતે આગળ આવવું જોઈએ'વધુમાં રાજેશ ભટ્ટે જણાવ્યું હતું કે, સ્કૂલ સંચાલકોએ સલામતી બાબતે આગળ આવવુ જોઈએ. વર્ષ દરમિયાન ટ્રાવેલ્સના કે અન્ય કોઈ ખર્ચ હોય તેને કોમ્પ્રોમાઇઝ કરીને સલામતી બાબતે ખર્ચ કરવો જોઈએ. સલામતી ભર્યું શૈક્ષણિક સંકુલ બનાવવું ખૂબ જ આવશ્યક છે. આમાં કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ ન ચલાવી લેવું જોઈએ. વિદ્યાર્થીઓની સલામતી માટે સ્કૂલ સંચાલકોએ જાતે આગળ આવવું જોઈએ. જેથી વિદ્યાર્થીઓને સલામતીમાં કોઈપણ બાંધછોડ ન આપવી જોઈએ.
રાજકોટમાં સાયબર ફ્રોડની વધુ એક ઘટના સામે આવી છે જેમાં અટલ સરોવર સામે સનરાઈઝ પાર્કમાં રહેતાં ડો.ચિન્મય પ્રકાશભાઈ ત્રિવેદી (ઉ.વ.26)ને ઓસ્ટ્રેલિયાની હોસ્પિટલમાં નોકરીની લાલચ આપી સાયબર ગઠિયાઓએ રૂ.50.75 લાખ પડાવી લીધા છે. બનાવ અંગે ફરિયાદ પરથી સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઓસ્ટ્રેલિયાની હોસ્પિટલમાં નોકરી અપાવવા લાલચ આપી ફરિયાદમાં ડો. ચિન્મય ત્રિવેદીએ જણાવ્યું હતું કે, તેમને ગાંધીનગરની મેડિકલ કોલેજમાંથી એમબીબીએસનો અભ્યાસ કર્યો છે. હાલ ઓનલાઈન એએમસી પરીક્ષાના કલાસ ચલાવે છે. આગળ નોકરી માટે ઓસ્ટ્રેલિયાની રોયલ એડીલેઈટ હોસ્પિટલમાં મેડિકલ રિસર્ચ આસિસ્ટન્ટ માટે જવાનું હોવાથી પરીક્ષા આપી હતી. જેમાં પાસ થનાર વિદ્યાર્થીઓનું એએમસી ઓસ્ટ્રેલીયા-2025 ડ્રીમ કમ ટુ નામનું વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. જેમાં રોયલ એડીલેઈટ હોસ્પિટલમાં જોબ માટે એડ આવી હતી. જેમાં જણાવેલા મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરતાં તેને હોસ્પિટલ વિશે બધી માહિતી આપી ડોક્યુમેન્ટસ મગાવ્યા હતા. જેની ફી પેટે 2100 ઓસ્ટ્રેલીયન ડોલર (રૂ.1.20 લાખ) ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં ઓફર લેટર મોકલ્યો હતો. તેમા જણાવેલી તમામ ફી 28,400 ઓસ્ટ્રેલીયન ડોલર (રૂ.16.50 લાખ) પણ અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સ્કર કર્યા હતા. વીઝા અને બેન્ક વેરીફિકેશન માટે રૂપિયાની માંગણી કરી ત્યાર પછી હોસ્પિટલના મેઈલ આઈડીમાંથી સીટ કન્ફર્મ થઈ ગયાનું જણાવાયું હતું. સાથો સાથ પ્લાનિંગ બફર અને એપ્લિકેશન એન્ડ ફોરવર્કીંગ માટે 12,879 ઓસ્ટ્રેલીયન ડોલર (રૂ.7.50 લાખ)ની માગણી કરતા તે રકમ પણ ઓનલાઈન ટ્રાન્સફર કરી હતી. આ પછી ડો.જોશુઆ દ્વારા ઓસ્ટ્રેલીયાના વીઝા એજન્ટ ડેનિયલનો મોબાઈલ નંબર અપાતા તેની ઉપર સંપર્ક કરતાં બધા ડોકયુમેન્ટસ માગ્યા હતા. જે આપી દેતાં ત્યાંની કોમોન વેલ્થ બેન્ક ઓફ ઓસ્ટ્રેલીયામાં તેનું બેન્ક ખાતું ખોલાવ્યું હતું. વીઝા અને બેન્ક વેરીફિકેશન માટે મિનિમમ બેલેન્સ રાખવાના બહાને 41,000 ઓસ્ટ્રેલીયન ડોલર (રૂ.24 લાખ)ની માગણી કરતા તે રકમ પણ ભારતના જુદા-જુદા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી. તમામ રકમ ગુજરાત બહારના બેન્ક એકાઉન્ટમાં જમા થઈ ત્યાર પછી બેન્કની એપમાંથી તેના એકાઉન્ટમાં રહેલી બેલેન્સનો સ્ક્રીનશોટ મોકલાવ્યો હતો. આ પછી બેન્ક એકાઉન્ટની માહિતી માટે બેન્કના મોબાઈલ નંબર અને ઈ-મેઈલથી સંપર્ક કરતાં તેના નામનું કોઈ એકાઉન્ટ ઓપન નહીં થયાની માહિતી મળી હતી. તે સાથે જ રોયલ એડિલેઈડ હોસ્પિટલનો સંપર્ક કરતાં એજન્ટ ફોડ થયાનું જણાવાયું હતું. જેથી હેલ્પ લાઈન નંબર ઉપર ફરિયાદ કરી હતી. જેના આધારે આજે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ટ્રાન્સફર કરવામાં આવેલ તમામ રકમ ગુજરાત બહારના બેન્ક એકાઉન્ટમાં જમા થઈ હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે ટેક્નિકલ એનાલિસિસ અને સાયબર સિક્યોરિટી અને એક્સપર્ટની મદદથી આ ગુનામાં વધુ તપાસ હાથ ધરી છે.
નવસારી મહાનગરપાલિકા દ્વારા સંચાલિત કામચલાઉ ગૌશાળામાં ગાયોના મોતનો મામલો સામે આવ્યો છે. શહેરના કાગદીવાડ વિસ્તારમાં આવેલી આ ગૌશાળામાં યોગ્ય જાળવણી અને ઘાસચારાના અભાવે ગાયો મૃત્યુ પામી રહી છે. આ ઘટનાનો એક હૃદયદ્રાવક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં મૃત ગાયના દેહને કૂતરાઓ પીંખતા જોવા મળે છે, જેના પગલે ગૌભક્તોમાં ભારે રોષ વ્યાપ્યો છે. દૂધિયા તળાવ પાસે આવેલી આ કામચલાઉ પાંજરાપોળમાં પશુઓની સ્થિતિ અત્યંત દયનીય હોવાનું ગૌરક્ષકો જણાવી રહ્યા છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક મૃત ગાયના શરીરને રખડતા કૂતરાઓ ફાડી રહ્યા હતા. ગૌરક્ષકોનો આરોપ છે કે અહીં 150થી 200 ગાયોને અત્યંત ઓછી જગ્યામાં ખીચોખીચ રાખવામાં આવી છે, જ્યાં તેમને પૂરતો ખોરાક કે પાણી પણ મળતું નથી. આ ગંભીર મામલે નવસારી મનપાના ડેપ્યુટી કમિશનર ગૌરવકુમાર વાસાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, વાયરલ વીડિયોની બાબત ગંભીર છે અને આવી ઘટના ન થવી જોઈએ. તેમણે ખાતરી આપી કે આ મામલે જવાબદાર સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાવચેતીના ભાગરૂપે ગાયોને નજીકની પાંજરાપોળમાં ખસેડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે પાંચ ગાયોને સ્થળાંતરિત કરવામાં આવી છે. ગૌરક્ષક સાજન ભરવાડે સરકાર અને વહીવટી તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે સરકારે ગૌચરની જમીનો પચાવી પાડી છે, જેના કારણે પશુઓ રસ્તા પર આવવા મજબૂર બન્યા છે. તેમણે ચેતવણી આપી હતી કે જો તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે તો તમામ ગાયોને આઝાદ કરી દેવામાં આવશે અને ગૌરક્ષકો ધરણા પર ઉતરશે.
પાટણ શહેરના કસુંબીયા પાડા વિસ્તારમાં ગેરકાયદેસર સ્લોટિંગ યુનિટોને સીલ કરવાની નગરપાલિકાની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી છે. વર્ષના અંતિમ દિવસે પૂરતો પોલીસ બંદોબસ્ત ન મળતા આ કામગીરી હાલ પૂરતી અટકાવવામાં આવી છે. ચીફ ઓફિસર અને પાલિકાની ટીમે સ્થળ પર પહોંચી સર્વે કર્યો હતો, જ્યાં વેપારીઓએ હાઈકોર્ટના સ્ટે અને પાલિકાની સત્તા મર્યાદાના મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં અંદાજે 40 થી વધુ ગેરકાયદેસર સ્લોટિંગ યુનિટો કાર્યરત છે. ચીફ ઓફિસર હિરલ ઠાકર અને પાલિકાની ટીમ આજે પોલીસ બંદોબસ્ત સાથે કસુંબીયા પાડા વિસ્તારમાં આ એકમોને સીલ કરવા પહોંચી હતી. જોકે, 31 ડિસેમ્બર હોવાથી પોલીસ તંત્ર અન્ય કામગીરીમાં વ્યસ્ત હતું, જેના કારણે સીલિંગ માટે જરૂરી વધારાનો બંદોબસ્ત ફાળવી શકાયો ન હતો. પરિણામે, પાલિકા તંત્રે સીલિંગની પ્રક્રિયા મુલતવી રાખી માત્ર સર્વેની કામગીરી પૂર્ણ કરી હતી. ચીફ ઓફિસરના જણાવ્યા અનુસાર, આ એકમો જરૂરી મંજૂરી કે નિયમોના પાલન વગર કાર્યરત છે. આ અંગે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પણ રજૂઆત થઈ ચૂકી છે. આગામી દિવસોમાં અન્ય સંબંધિત વિભાગોને સાથે રાખીને કોર્ટના આદેશોને અનુલક્ષીને કડક કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ, પાલિકાની આ કાર્યવાહીના વિરોધમાં મોટી સંખ્યામાં વેપારીઓ, સમાજના આગેવાનો અને કોર્પોરેટરો એકત્ર થયા હતા. વેપારી આગેવાન કાસમઅલીએ પાલિકાની કાર્યવાહી સામે વાંધો ઉઠાવતા જણાવ્યું કે, નગરપાલિકાએ 22/12/2025 ના રોજ નોટિસ આપી હતી, જેને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે અને હાલ આ મામલો ન્યાયાધીન છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે નગરપાલિકા પાસે આવા એકમોને સીલ મારવાની કે લાઈસન્સ આપવાની કોઈ કાયદેસરની સત્તા નથી. તેમનું કાર્ય માત્ર સાફ-સફાઈ જોવાનું છે. અગાઉ ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે તપાસ કરી દંડ વસૂલ્યો હતો, જે વેપારીઓએ ભરી દીધો છે. વેપારીઓ દ્વારા વારંવાર NOC માટે અરજી કરવા છતાં પાલિકા દ્વારા મંજૂરી આપવામાં આવતી નથી. જો પાલિકા સમયસર NOC આપે તો વેપારીઓ તમામ નિયમોનું પાલન કરવા તૈયાર છે. હાલમાં આ મામલે વેપારીઓએ કાયદેસરની લડત આપવાની તૈયારી દર્શાવી છે.
જૂનાગઢમાં ACB એ ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ લાલ આંખ કરી છે. મહાનગરપાલિકાના મેલેરિયા વિભાગના અધિકારી સામે એસીબીએ આવક કરતા વધુ સંપતિ હોવાનો ગુનો દાખલ કર્યો છે. મેલેરિયા શાખામાં બાયોલોજીસ્ટ તરીકે ફરજ બજાવતાહરસુખ રાદડિયા સામે આ કાર્યવાહી કરવામાં આવતા સરકારી આલમમાં ફફડાટ મચી ગયો છે. અગાઉ જિલ્લા પંચાયતમાં ક્લાસ-2 અધિકારી રહી ચૂકેલા હરસુખભાઇ ફુલાભાઇ રાદડીયા વિરુદ્ધ એસીબીએ અપ્રમાણસર મિલકત વસાવવા બદલ ગુનો દાખલ કર્યો છે. આ અધિકારીએ પોતાની કાયદેસરની આવકની તુલનામાં કરોડો રૂપિયાનું કાળું નાણું ભેગું કર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ₹1,74,32,085ની અપ્રમાણસર મિલકત ઝડપાઈ જૂનાગઢ એસીબીના પી.આઈ. જે.બી. કરમુરે આ મામલે ફરિયાદ નોંધી છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આક્ષેપિત અધિકારી હરસુખભાઇ રાદડીયાએ તેમના હોદ્દાનો દુરુપયોગ કરીને ભ્રષ્ટ રીતે કુલ ₹1,74,32,085 કરોડની અપ્રમાણસર મિલકત વસાવી છે. આ રકમ તેમની કુલ કાયદેસરની આવક કરતા 62.08% જેટલી વધુ હોવાનું એસીબીના ગણિતમાં સામે આવ્યું છે. 12 વર્ષના 'ચેક પીરીયડ'માં મિલકતોનું સામ્રાજ્ય ઉભું કર્યું એસીબી દ્વારા આક્ષેપિત અધિકારીના નાણાકીય વ્યવહારોની તપાસ કરવા માટે 01/04/2009 થી 31/03/2021 સુધીના 12 વર્ષના સમયગાળાને 'ચેક પીરીયડ' તરીકે નક્કી કરવામાં આવ્યો હતો. આ ગાળા દરમિયાન તેમણે જૂનાગઢ અને પોરબંદર જિલ્લા પંચાયતમાં ફરજ બજાવી હતી. તપાસનીશ ટીમે આ બંને કચેરીઓમાંથી અધિકારીના પગાર-ભથ્થાની વિગતો મેળવી હતી. આ ઉપરાંત, બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ્સ અને સબ-રજિસ્ટ્રાર કચેરીમાંથી તેમની સ્થાવર મિલકતોના દસ્તાવેજો એકત્ર કરી ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી. પરિવારના નામે મિલકતો વસાવી હોવાનો આક્ષેપ એસીબીની ફરિયાદ મુજબ હરસુખભાઇએ માત્ર પોતાના નામે જ નહીં પરંતુ પોતાના પરિવારના સભ્યોના નામે પણ અપ્રમાણસર મિલકતો વસાવી હતી. પ્રાથમિક તપાસમાં ભ્રષ્ટ રીત-રસમો દ્વારા રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો અયોગ્ય લાભ લીધો હોવાના પુરાવા મળતા આ કાર્યવાહી કરવામાં આવી છે. તેમની સામે ભ્રષ્ટાચાર નિવારણ સુધારા અધિનિયમ-2018 ની વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એસીબીએ તપાસ દરમિયાન પારદર્શિતા જાળવતા હરસુખભાઇ રાદડીયાને પોતાનો પક્ષ રાખવાની પૂરતી તક આપી હતી. એસીબીના ઉચ્ચ અધિકારીઓ અને તપાસનીશ પી.આઈ. સમક્ષ તેમના નિવેદનો લેવામાં આવ્યા હતા. જોકે, તેમણે રજૂ કરેલો બચાવ પક્ષ અને આવકના સ્ત્રોત એસીબીની તપાસ સામે ટકી શક્યા ન હતા અને આખરે તેમની સામે ગુનો નોંધાયો છે. કોણ છે આ અધિકારી ? હરસુખભાઇ રાદડીયા જૂનાગઢના લાલબાગ પાછળ, નવી કલેક્ટર કચેરી સામે આવેલ અમૃતનગરમાં ‘દૈવીક’ નામના મકાનમાં રહે છે. તેઓ લાંબા સમયથી મેલેરિયા વિભાગમાં મહત્વના હોદ્દા પર ફરજ બજાવી રહ્યા હતા. એસીબીની આ કાર્યવાહીથી જૂનાગઢના વહીવટી તંત્રમાં અને ખાસ કરીને ભ્રષ્ટ માનસિકતા ધરાવતા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
એક બાજુ જ્યાં દુનિયા મા લોકો નવા વર્ષ નું સ્વાગત નશા કરીને કરતા હોય છે તો બીજી બાજુ આપણા દેશ મા મોટી સંખ્યા મા લોકો ધાર્મિક યાત્રા પણ કરે છે. નવા વર્ષનું સ્વાગત સુરતમા એક દમ અનોખી રીતે થઇ રહ્યું છે. સુરતના અમરોલી કોસાડ ખાતે આવેલ વૈજનાથ મહાદેવ મંદિરમા જુના વર્ષ 2025 ની વિદાઈ અને નવા વર્ષ 2026 ના આગમન ના સ્વાગત માટે 9 કુંડીયા લક્ષ્મી નારાયણ અને શનિદેવ મહારાજ નું મહાયજ્ઞ થઇ રહ્યું છે.જેમા દર રોજ સવારે અને બપોર પછી મોટી સંખ્યા મા ભક્તો આહુતિ આપી રહ્યાં છે. વિશ્વ કલ્યાણ અર્થે સાર્વજનિક નવ દિવસિય લક્ષ્મીનારાયણ મહાયજ્ઞ અને શનિદેવ મહાયજ્ઞ આયોજન બેજનાથ મહાદેવ મંદિરમા પરમ ભગવતી સાધક તપોનિધિ સંત સ્વામી વિજયાનંદ પુરીમહારાજ ના સાનિધ્યમાં કરવામાં આવ્યું છે. આ આયોજનમાં શ્રી શનિ હનુમાન મંદિર સેવા સમિતિ અને વૈજનાથ મહાદેવ મંદિર અને ગુરુજી ના ભક્તગણ સામેલ છે. આ મહાયજ્ઞમાં દરરોજ સવારે 9:00 વાગે થી બપોરે 12:00 વાગ્યા સુધી અને સાંજે 3:00 વાગે થી સાંજે 6:00 વાગ્યા સુધી ભક્ત લોકો આહુતિ આપી રહ્યા છે. કોસાડ ગામના અગ્રણી રાજુભાઈ પટેલ અને વેદાંત ગ્રુપ દ્વારા વિશેષ સહયોગ આપવામાં આવી રહ્યું છે. 24 ડિસેમ્બર થી શરુ થયેલ આ મહા યજ્ઞ નવા વર્ષના પહેલા જ દિવસે એટલે કે એક જાન્યુઆરી આ મહાયગ્ય પૂર્ણાહુતિ થશે ત્યારબાદ વિશાલ ભંડારા નું આયોજન કરવામાં આવ્યું છે. એક બાજુ જ્યાં નવા વર્ષમાં લોકો દેશ અને દુનિયામાં અલગ અલગ પ્રકારથી સેલિબ્રેટ કરતા હોય છે ત્યારે અહીં મંદિરમાં ભક્તો મહાયજ્ઞમાં આહુતિ આપીને નવા વર્ષનું સ્વાગત કરશે.
વડોદરા જિલ્લાના કરજણમાંથી સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું હતું. આ કૌભાંડમાં કરજણ પોલીસ મથકમાં પાદરા તાલુકાના પાટોદ ગામના સરકારી અનાજના ગોડાઉનના મેનેજર સહિત 3 સામે ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે. કૌભાડીઓએ રૂપિયા 2.38 લાખના ઘઉ, ચોખા અને ચણા સહિતનો જથ્થો ખૂલ્લા બજારમાં વેચી મારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, અનાજનો જથ્થો ચોક્કસ સ્થળે પહોંચે તે પહેલાં કરજણ પોલીસે જથ્થો ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો. સરકારી અનાજના જથ્થાના ખોટા હિસાબો બનાવી સરકારને ગુમરાહ કરીપાદરા તાલુકાના પાટોદ ગામ સ્થિત સરકારી અનાજના ગોડાઉનના ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર અક્ષય ભાલચંદ્ર પંડયાએ સરકારી ફરજ દરમિયાન સરકારી અનાજના જથ્થાના ખોટા હિસાબો બનાવી સરકારને ગુમરાહ કરી વિશ્વાસઘાત કર્યો હતો. આરોપીએ સહઆરોપી કાનાભાઈ કાળુભાઈ મીર તથા આયશર ટેમ્પોના ડ્રાઈવર અકરમભાઈ સલીમભાઈ સિંધી સાથે મળી સરકારી અનાજ સગેવગે કરવાનું ગુનાહિત કાવતરું રચ્યું હતું. 2.38 લાખના અનાજને સગેવગે કરવાનો નિષ્ફળ પ્રયાસ કરજણ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, 22 ડિસેમ્બરના રોજ સાંજના સમયે પાટોદ સરકારી ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં સરકારી અનાજ ટેમ્પોમાં ભરવામાં આવ્યું હતું. જેમાં 50 કિલોની 120 બોરી ચોખા 50 કિલોની 60 બોરી ઘઉં અને 50 કિલોની 5 બોરી ચણાનો જથ્થાનો સમાવેશ થાય છે. આ અનાજની કુલ બજાર કિંમત અંદાજે રૂપિયા 2,38,000 હોવાનું જણાવવામાં આવ્યું છે. ગોડાઉન મેનેજર સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાઈઆ અનાજનો જથ્થો ડ્રાઈવર અકરમભાઈ સિંધી દ્વારા રાત્રિના સમયે શિવવાડી મંદિર કેનાલ પાસે કાનાભાઈ મીરને આપવામાં આવ્યો હતો. આ કૌભાંડ અંગે નાયબ જિલ્લા મેનેજર રમેશભાઈ મથુરભાઈ પટેલ, નાયબ જિલ્લા મેનેજરે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથધરી છે.
રાજકોટમાં વોર્ડ નંબર 6 ના ભાજપ પ્રમુખે દૂધસાગર રોડ પાસે આવેલી શાળા નંબર 78ની આંગણવાડીમાં પૌષ્ટિક આહારનું કૌભાંડ આચર્યુ હોવાનું સામે આવ્યુ છે. જેમાં ભૂલકાઓને આપવામાં આવતું બાલ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાના 120 પેકેટ રિક્ષામાં જતા હોવાનું પકડાઈ ગયું હતું. ICDSના CDPO દ્વારા આ કૌભાંડ પકડી પાડવામાં આવ્યું હતું. જોકે આ બાબતે પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી ત્યારે સામે પક્ષે આંગણવાડી કાર્યકર રજા પર ઉતરી ગયા છે અને હેલ્પરે કોઈ કૌભાંડ ન થયું હોવાનું જણાવ્યું હતું. CDPO(ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર)એ આક્ષેપ કર્યો છે કે જે સમયે અનાજ રીક્ષામાં લઈ જવાતું હતું ત્યારે રેડ પાડી હતી. આ દરમિયાન આંગણવાડી વર્કરના ફોનમાંથી ભાજપના કોઈ વ્યક્તિની ભલામણ આવી હતી. શહેરના દૂધસાગર રોડ ઉપર આવેલી શાળા નંબર 78માં આંગણવાડીનો પૌષ્ટિક આહાર રિક્ષામાં ભરી રામવન પાસેની સોસાયટીમાં લઈ જવા તો હોવાની બાતમીના આધારે ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર સહિતના અધિકારીઓએ રેડ પાડી હતી અને રીક્ષા ચાલકને પકડી પાડ્યો હતો જે બાદ પૌષ્ટિક આહારના 36 પેકેટ ફરી આંગણવાડીમાં મૂકવામાં આવ્યા હતા. આ બાબતે CDPO જયશ્રીબેન સાકરીયાએ જણાવ્યું હતું કે, મંગળવારે સાંજે મને ફોન આવ્યો હતો કે કોડ નંબર 6માં આવેલી શાળા નંબર 78ની આંગણવાડીમાંથી GJ 03 BX 5984 નંબરની રિક્ષામાં બાલ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાના 120 પેકેટ પગ કરી જતા ઝડપી પાડ્યા હતા. પૌષ્ટિક આહારના પેકેટ રામવન પાસેની સોસાયટીમાં લઈ જવાઈ રહ્યા છે. જેથી ત્યાં પહોંચી તપાસ કરી તો ત્યાં રીક્ષા ચાલક હતો અને તેનો વિડીયો પણ ઉતાર્યો છે. જેમાં તે એવી કબુલાત આપે છે કે મને અહીંથી પૌષ્ટિક આહાર રિક્ષામાં ભરી રામવન પાસેની રાધે કૃષ્ણ સોસાયટીમાં લઈ જવામાં આવતો હતો. જે બાદ આંગણવાડી વર્કર નજમાબેન પઠાણની CDPOએ કરેલી પૂછપરછમાં કબુલાત આપી હતી કે આંગણવાડી હેલ્પર ખમાબા ઝાલા મારફત જથ્થો પહોંચાડવાનો હતો. જે બાદ નજમાબેન દ્વારા ભાજપના કોઈ વ્યક્તિ સાથે ફોન ઉપર વાત કરાવવામાં આવી હતી અને આમાં જોજો એવું કહ્યું હતું. તે વખતે મેં કહ્યું કે હું જો આમાં જોવાનું તો મારી નોકરીનું શું થાય. જોકે તે વ્યક્તિ કોણ હતું તેનો મને ખ્યાલ નથી. હવે 25/11ના GR મુજબ સરકારે જે ઠરાવો ટાંકયા છે તે મુજબ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે પોલીસ ફરિયાદ તો આંગણવાડી કાર્યકર દ્વારા જ નોંધાવવી જોઈએ તેવું તેમણે કહ્યું હતું. જ્યારે આંગણવાડી હેલ્પર આંગણવાડી હેલ્પર ખમાબા ઝાલાએ કહ્યું કે, અહીં કોઈ પણ પ્રકારનું કૌભાંડ થતું નથી. ગઈકાલે પણ 36 ફૂડ પેકેટ હતા અને આજે પણ 36 ફૂડ પેકેટ છે. અહીં 78 બાળકો છે. જ્યારે આંગણવાડી વર્કર નજમાબેનના પરિવારમાં ડીલિવરી હોવાથી તેઓ રજા પર છે તેમ જણાવ્યુ હતું. સમગ્ર મામલે કોર્પોરેશનના વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 6ના મહિલા ભાજપ પ્રમુખ આ આંગણવાડી કેન્દ્રના સંચાલક છે. તેમના દ્વારા જ આ કૌભાંડ કરવામાં આવ્યું છે. આ મામલે અમે મનપા કમિશનર અને જિલ્લા કલેકટરને પત્ર લખીશુ. સમગ્ર કૌભાંડ મામલે તપાસ કરવામાં આવે. અગાઉ પણ બાળકોના ભોજનમાં આ પ્રકારે ગેરરીતિઓ સામે આવી ચૂકી છે. જ્યારે ફરી એક વખત આ પ્રકારે આંગણવાડીના બાળકોના ફૂડ પેકેટમાં કૌભાંડ કરવામાં આવ્યું છે ત્યારે આવા કૌભાંડ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી એક અમારી માંગ છે.
ભાવનગરમાં ગુનાહિત પ્રવૃત્તિ જેવી કે પ્રોહીબિશન અને શરીર સબંધના ગુનાના અસામાજિક તત્વોના મકાનોના ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં એક મહિલા સહિત 4 શખસના રહેણાંક મકાન પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. સિટી DYSP સહિત 150થી વધુ પોલીસ જવાન અને 4 JCB સાથે ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ છે. તંત્રની કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણની ડિમોલિશન ડ્રાઈવઆ અંગે સિટી DYSP આર.આર.સિંઘાલએ જણાવ્યું હતું કે ભાવનગર શહેરના સિંધુનગર વિસ્તાર, મફતનગર વિસ્તાર તથા સુભાષનગર વિસ્તારમાં બુટલેગર તથા શરીર સંબંધીત ગુના કરેલા અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણના ડિમોલિશનની ડ્રાઈવ અનુસંધાને આજે(31 ડિસેમ્બર) SP નિતેશ પાંડેની દેખરેખ હેઠળ ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના સિંધુનગર વિસ્તારમાં રહેતા ગીતાબેન પ્રોહીબીશન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. તેમનું મકાન ગેરકાયદેસર હતું તેનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. 5 અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણ જમીનદોસ્તશ્રમજીવી અખાડા પાસે આવેલા મફતનગર વિસ્તારમાં રહેતા ધવલ મકવાણા જે શરીર સંબંધિત ગુનામાં સંકળાયેલા છે તેના મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. આ ડિમોલિશન કામગીરીમાં કોર્પોરેશનનો સ્ટાફ, મેડિકલ ટીમ, ફાયર ટીમ, પીજીવીસીએલ ટીમ અને 150થી વધુ પોલીસ જવાનોને સાથે રાખી કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ડિમોલિશનમાં 5 જેટલા પ્રોહીબીશન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અને શરીર સંબંધી ગુનાઓ કરેલા અસામાજિક તત્વોના ગેરકાયદેસર રહેઠાણ પર ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાઈ છે. આ 5 આરોપીની ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફરી વળ્યું
અમદાવાદના યુવક સાથે સાયબર ગઠિયાઓએ શેર બજારમાં રોકાણ કરાવવાના બહાને 17.90 લાખ રૂપિયા પડાવ્યા છે. ગઠિયાઓએ યુવકને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી શરૂઆતમાં 1 લાખનું રોકાણ કરાવી 25 હજાર ઉપાડવા દીધા હતા, જે બાદ યુવકને વિશ્વાસ આવતા ટુકડે ટુકડે 17.90 લાખનું રોકાણ કર્યું હતું. જોકે યુવકને રોકાણ કે નફાની રકમ પરત આપવામાં આવી ન્હોતી જેથી યુવકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. અજાણ્યા નંબર પરથી વોટ્સએપમાં મેસેજ આવ્યો ને ફસાયોવસ્ત્રાલમાં રહેતો પ્રમિત દરજી નામનો યુવક વડોદરાની ખાનગી કંપની નોકરી કરે છે. પ્રમિતને અજાણ્યા નંબર પરથી વોટ્સએપમાં મેસેજ આવ્યો હતો જે શેર બજા રોકાણ કરવાનો ઉલ્લેખ કર્યો હતો. પ્રમિત લિંક દ્વાર ગ્રુપમાં એડ થયો હતો.ગ્રુપમાં શેર બજાર અને સ્ટોકની લગતી માહિતી આપવામાં આવતી હતી.પ્રમિતને ગ્રુપના મેનેજરે ઓળખ આપીને સલાહ સૂચન આપવાની ચાલુ કરી હતી. ટૂકડા ટુકડે 17.90 લાખ રૂપિયાનું રોકાણ હતુંગ્રુપના મેનેજરે પ્રમિતને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક મોકલી હતી. પ્રમિતે લિંક ડાઉનલોડ કર્યા બાદ પોતાની વિગતો એડ કરી હતી. પ્રમિતે એપ્લીકેશનમાં 1 લાખનું રોકાણ કર્યું હતું, જેની સામે નફા સહિતની રકમ બતાવતા હતા જેથી પ્રમિતે 25 હજાર ઉપડ્યા હતા. પ્રમિતને વિશ્વાસ આવતા ટૂકડા ટુકડે 17.90 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું જેની સામે પ્રમિતને નફો કે રોકાણની રકમ પરત મળી ન્હોતી જેથી સાયબર ક્રાઈમમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેર પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર વધુ એક અકસ્માત સર્જાયો છે. આ વિચિત્ર અકસ્માતમાં શહેરના કપૂરાઇથી જામ્બુઆ તરફ જતા મહાદેવ હોટલ પાસે રિવર્સ લેતા ટેન્કર પલટી મારતા ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે. આ અકસ્માતમાં વડોદરા GIDC ફાયર સ્ટેશન અને સ્થાનિક હોટલ પરના લોકોએ આ ડ્રાયવરને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો. આ અંગે કપુરાઇ પોલીની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ટેન્કર પલટી મારતા ડ્રાઈવરનો આબાદ બચાવ નેશનલ હાઈવે પાસે ઓઇલ ભરેલ ટેન્કર પલટી મારતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ ટેન્કર ડ્રાઇવરના જણાવ્યા અનુસાર આ ટેન્કર ગાંધીધામથી હૈદરાબાદ જઈ રહી હતી. હોટેલ પાસે આરામ કરી ડ્રાઈવર રિવર્સ લેતો હતો, ત્યારે ઊંડા ખાડામાં ટેન્કર પલટી મારી હતી અને આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટના બાદ આસપાસના લોકો, પોલીસ અને ફાયર વિભાગ તાત્કાલિક પોહચી ડ્રાયવરને બહાર કાઢ્યો હતો. આ ટેન્કરનો પણ બે ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. 'શુ થયું તે મને કઈ સમજાયું જ નહીં અને આખે આખી ટેન્કર ખાડામાં પડી ગઈ'આ અકસ્માત અંગે ટેન્કરના ડ્રાઈવર સાથે દિવ્ય ભાસ્કરે ટેલિફોનીક વાતચીત કરતા અજય રાજપૂતે જણાવ્યું હતું કે, હું ગાંધીધામથી હૈદરાબાદ તરફ જઈ રહ્યો હતો. વડોદરા પાસે આવેલ મહાદેવ હોટલે આરામ કરી હું નીકળતો હતો. ટેન્કર વળે તેમ ન હતી તેથી ત્યાં મેં રિવર્સ લીધી હતી અને અચાનક પાછળ મોટો ખાડો હતો. શુ થયું તે મને કઈ સમજાયું જ નહીં અને આખે આખી ટેન્કર ખાડામાં પડી ગઈ હતી. બે ક્રેનની મદદથી ઓઈલ ભરેલ ટેન્કરને બહાર કાઢ્યુંવધુમાં કહ્યું કે, ટેન્કરમાં ઓઈલ ભરેલ હતું. મને ફાયર, પોલીસ અને સ્થાનિક હોટલ પરના લોકોએ મળી બહાર કાઢ્યો હતો અને સામાન્ય ઈજાઓ પહોંચી છે. અહીંયા ભયાનક ખાડો હતો જેથી મારું આખેઆખું ટેન્કર પલટી મારી અંદર સમાઈ ગયું હતું. ફાયર વિભાગે બે ક્રેનની મદદથી ઓઈલ ભરેલ ટેન્કરને બહાર કાઢ્યું હતું. હું એટલુંજ કહેવા માંગુ છું કે આવા નેશનલ હાઈવે પાસે ભયજનક ખાડા ન હોવા જોઈએ.
મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કાંતિ અમૃતિયાના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે માળિયા તાલુકાના વાધરવા ગામે રામધૂનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયત દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો જોડાયા હતા. મુંબઈ ખાતે સારવાર હેઠળ ઉલ્લેખનીય છે કે, મંત્રી કાંતિ અમૃતિયા હાલ મુંબઈ ખાતે કેન્સરની સારવાર લઈ રહ્યા છે. તેમના ઝડપી સ્વસ્થ થવા માટે સમગ્ર વિસ્તારમાં તેમના ટેકેદારો અને કાર્યકરો દ્વારા સતત પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. આ ક્રમમાં વાધરવા ગામના રામજી મંદિર ખાતે તાજેતરમાં મંગળવાર, 30 નવેમ્બરના રોજ રાત્રે રામધૂન બોલાવવામાં આવી હતી. પરિવાર અને ટેકેદારોની ઉપસ્થિતિ આ ધાર્મિક કાર્યક્રમમાં મંત્રીના પુત્ર પ્રથમ અમૃતિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગોપાલ સરડવા, જયદીપ કંડિયા, લાલજી ગામી, અનિલ વરમોરા, જયદીપ દેત્રોજા, કેતન વિલપરા અને મણિ સરડવા સહિતના અગ્રણીઓ તેમજ કાંતિ અમૃતિયાના સમર્થકો હાજર રહ્યા હતા. ઉપસ્થિત સૌએ મંત્રીના સુસ્વાસ્થ્ય માટે ભગવાનને હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી.
અમરેલી જિલ્લા પોલીસે દીવથી આવતા અને સ્થાનિક નશાખોરો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. થર્ટી ફર્સ્ટની ઉજવણીને ધ્યાનમાં રાખીને, જિલ્લામાં પ્રવેશવાના તમામ માર્ગો પર બપોર બાદ 17 ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવશે. DYSP કક્ષાના અધિકારીઓના નેતૃત્વ હેઠળ પોલીસ નશો કરીને વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી કરશે. ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય અને નશાખોરી અટકાવવા માટે આ આદેશો આપવામાં આવ્યા છે. અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા આ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. દીવમાંથી નશો કરીને બેફામ વાહન ચલાવી અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં પ્રવેશતા લોકોને રોકવા માટે આ ચેકપોસ્ટ શરૂ કરાશે. આ ચેકપોસ્ટ્સમાં ધારીના દુધાળા, બગસરાના માણેકવાડા, ખાંભાના ખડાધાર, વડીયા નજીક ચોકી ચાર રસ્તા, લાઠીના ચાવંડ ત્રણ રસ્તા, બાબરાના કોટડાપીઠા, દામનગર નજીક નારાયણનગર ચોકડી, લીલીયા ભોરિંગડા ચોકડી, સાવરકુંડલા રૂરલ વીજપજડી, ડુંગર નજીક દાતરડી, માંડળ અને નાગેશ્રી નજીક ટીંબી સહિતના મુખ્ય સ્થળોનો સમાવેશ થાય છે. રાજુલા, જાફરાબાદ અને પીપાવાવ પોલીસ પણ નેશનલ હાઈવે પર સઘન વાહન ચેકિંગ કરશે. અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના સીધા સુપરવિઝન હેઠળ ASP જયવીર ગઢવી અને DYSP ચિરાગ દેસાઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ આ કામગીરી પર દેખરેખ રાખશે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ અને તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.
કચ્છમાં 31 ડિસેમ્બરની ઉજવણી માટે પોલીસ સક્રિય:કાયદો વ્યવસ્થા જાળવવા સઘન પેટ્રોલિંગ અને વાહન તપાસ
કચ્છ જિલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ સક્રિય બની છે. નવા વર્ષના સ્વાગત માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવા પોલીસ વિભાગ દ્વારા સઘન પેટ્રોલિંગ અને વાહન તપાસ હાથ ધરવામાં આવી છે. ભુજ શહેરમાં સી ટીમે એરપોર્ટ રિંગ રોડ પર ખાસ ટ્રાફિક ડ્રાઇવ યોજી વાહન તપાસ કરી હતી. આ ઉપરાંત, નખત્રાણા પોલીસે પણ 31 ડિસેમ્બરની ઉજવણીના અનુસંધાનમાં ફૂટ માર્ચ કરી હતી. નખત્રાણા પોલીસ સ્ટેશનથી સુપરમાર્કેટ, વથાણ, મુખ્ય બજાર, જૂનાવાસ અને નવાવાસ સહિતના વિસ્તારોમાં પોલીસે ફરીને પરિસ્થિતિ પર નજર રાખી હતી. પીઆઈ એ.એમ. મકવાણાની સૂચનાથી શાંતિપૂર્ણ ઉજવણી માટે ચેકિંગ હાથ ધરાયું હતું. પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પૂર્વ કચ્છના પ્રવેશદ્વાર સમા આડેસર પીઆઈ જે.એમ. વાળા અને સામખીયારી પીઆઈ વી.કે. ગઢવીના નેતૃત્વ હેઠળ સુરજબારી પોલીસ ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ એમ.ડી. ચૌધરી, બી ડિવિઝન પીઆઈ એસ.વી. ગોંજીયા, આદિપુર પીઆઈ એમ.સી. વાળા, અંજાર પીઆઈ એ.આર. ગોહિલ, ભચાઉ પીઆઈ એ.એ. જાડેજા, લાકડીયા પીઆઈ જે.એમ. જાડેજા, બાલાસર પીએસઆઈ વી.એ. ઝા, રાપર પીઆઈ જે.બી. બુબડીયા, ગાગોદર પીઆઈ વી.એ. સેગલ, દુધઈ પીઆઈ આર.આર. વસાવા તથા ખડીર પીઆઈ એમ.એન. દવે અને તેમના પોલીસ સ્ટાફ દ્વારા જુદા જુદા સ્થળો પર પોલીસ કર્મચારીઓ તૈનાત કરીને સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. ખાસ કરીને, ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં થર્ટી ફર્સ્ટને અનુલક્ષીને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં બ્રેથ એનાલાઇઝર મશીનનો ઉપયોગ કરીને દારૂ પીધેલા વાહનચાલકોની તપાસ કરવામાં આવી હતી.
હવામાન વિભાગે વર્ષ 2025ના છેલ્લા દિવસે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. ભર શિયાળે માવઠાના વરસાદની આગાહી કરવામાં આવતા ગુજરાતમાં બે દિવસ તાપમાન ઘટવાની આગાહી પણ આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 કલાક એટલે કે એક વાગ્યા સુધીમાં રાજ્યના કચ્છ અને પોરબંદરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં આજે વહેલી સવારથી ઘુમ્મસભર્યુ વાતાવરણ રહ્યું હતું અને પ્રદૂષણમાં પણ વધારો જોવા મળ્યો હતો. આ જિલ્લાઓમાં છૂટાછવાયો હળવો વરસાદ પડવાની સંભાવનાઆ સાથે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ, સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના બાકીના જિલ્લાઓમાં શુષ્ક હવામાન રહેવાની સંભાવના છે. અમદાવાદમાં 15.3 ડિગ્રી ઠંડીનું તાપમાન નોંધાયુંતાપમાનની વાત કરીએ તો, અમદાવાદમાં 15.3 ડિગ્રી સેલ્સિયસ અમરેલીમાં 13.8 ડિગ્રી સેલ્સિયસ બરોડામાં 15.4 ડિગ્રી સેલ્સિયસ ભાવનગરમાં 16.6 ડિગ્રી સેલ્સિયસ ભુજમાં 16.6 ડિગ્રી સેલ્સિયસ દમણમાં 16 ડીગ્રી સેલ્સિયસ ડીસામાં 14.4 ડિગ્રી સેલ્સિયસ દીવમાં 15.5 ડિગ્રી સેલ્સિયસ દ્વારકામાં 20.5 ડિગ્રી સેલ્સિયસ ગાંધીનગરમાં 13 ડિગ્રી સેલ્સિયસ કંડલામાં 17.3 ડિગ્રી સેલ્સિયસ નલિયામાં 15.6 ડિગ્રી સેલ્સિયસ ઓખામાં 20.7 ડિગ્રી સેલ્સિયસ પોરબંદરમાં 14.5 ડિગ્રી સેલ્સિયસ રાજકોટમાં 15 ડિગ્રી સેલ્સિયસ સુરતમાં 16.4 ડિગ્રી સેલ્સિયસ વેરાવળમાં 18.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
31મી ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને નશેડીઓને ઝડપવા પોલીસ ઉમરગામથી લઇને નડાબેટ સુધી અને દાહોદથી લઇને દ્વારકા સુધી એલર્ટ છે. દારૂ અને ડ્રગ્સની મહેફિલો પર અંકુશ લાવવા માટે પોલીસ આ વર્ષે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને સઘન દેખરેખ કરી રહી છે. જો કોઇ ફાર્મ હાઉસ કે ક્યાંય પણ ખુણે-ખાંચરે મહેફિલ માણતું હશે તો પણ પોલીસની આકાશી નજરથી બચી નહીં શકે. હાઉસના ટેરેસથી લઇ જંગલ સુધી પોલીસની નજરનવસારીની વાત કરીએ તો શહેરની આસપાસ આવેલા અનેક ફાર્મ હાઉસમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થવાની શક્યતાઓને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ટેકનોલોજીનો સહારો લઈને, ફાર્મ હાઉસના ટેરેસ, ખુલ્લી જગ્યાઓ અને ઝાડી-ઝાંખરાવાળા વિસ્તારોમાં ડ્રોન ઉડાડીને ચકાસણી કરવામાં આવી રહી છે. MP-મહારાષ્ટ્રની બોર્ડર પર કડક ચેકિંગઆવી જ રીતે વલસાડ, સુરત સહિત દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તાર અને મહારાષ્ટ્રની બોર્ડરની ચેકપોસ્ટ અને નજીકના વિસ્તારમાં પોલીસ ડ્રોન સાથે એલર્ટ છે. આવી જ રીતે મધ્યપ્રદેશને અડીને આવેલા દાહોદ જિલ્લામાં પણ નશેડીઓને ઝડપવા પોલીસ ખડેપગે છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ-ગાંધીનગર સહિત તમામ મોટા શહેરોથી લઇ નાનામાં નાના ગામડામાં પોલીસની બાજ નજર છે. નદી કે દરિયા કિનારા પર પણ પોલીસની નજરરાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પોલીસ વધુ એલર્ટ છે. અહીંની તમામ સંવેદલશીલ ચેકપોસ્ટ અને અંતરિયાળ ધૂળિયા રસ્તે પણ પોલીસની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત 31મીની ઉજવણી માટે લોકો સામાન્ય રીતે નદી કિનારે કે દરિયા કિનારા જેવા નિર્જન સ્થળો પસંદ કરતા હોય છે. આવા દુર્ગમ વિસ્તારોમાં જ્યાં પોલીસ માટે પહોંચવું મુશ્કેલ હોય છે, ત્યાં પણ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અંતરિયાળ સ્થળો પર સતત મોનિટરિંગપોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોઈપણ જગ્યાએ દારૂ કે ડ્રગ્સની પાર્ટી ન થાય તે માટે પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. જંગલ વિસ્તારો અને અંતરિયાળ સ્થળો પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. નિયમોનું ઉલ્લંઘન કરનારા તત્વો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બ્લોગમાં વાંચો પોલીસ ચેકિંગની પળેપળની અપડેટ્સ...
મોરબીમાં પંચાસર-શનાળા રોડ પર દબાણ હટાવાયા:ગેરકાયદે દુકાનો, કમ્પાઉન્ડ વોલ સહિતના બાંધકામ તોડી પડાયા
મોરબીમાં પંચાસર રોડથી શનાળા રોડને જોડતા માર્ગ પરના ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા બે જેસીબીની મદદથી દુકાનો, સીડીઓ અને કમ્પાઉન્ડ વોલ સહિતના બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. મોરબી નગરપાલિકા દ્વારા દર બુધવારે વિવિધ વિસ્તારોમાં રોડ સાઈડના દબાણો દૂર કરવાની ઝુંબેશ ચલાવવામાં આવે છે. આ અંતર્ગત આજે પંચાસર રોડ પર રાજનગર પાસેથી શનાળા રોડ તરફ જતા નાની કેનાલ રોડ પરના દબાણો પર કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરીમાં એક શોપિંગ સેન્ટરમાં ગેરકાયદેસર રીતે બનાવેલી ત્રણ દુકાનો, સીડીનો ભાગ અને અન્ય બે મકાનોની કમ્પાઉન્ડ વોલ સહિતના દબાણોનો સમાવેશ થાય છે. મોરબી નગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોનીના જણાવ્યા અનુસાર, રોડની 18 મીટરની હદમાં આવતા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહી 2.2 કિલોમીટરના નવા રસ્તાના નિર્માણ માટે કરવામાં આવી રહી છે, જે પંચાસર રોડને સીધો શનાળા રોડ સાથે જોડશે. આ નવો રસ્તો કાર્યરત થયા બાદ પંચાસર રોડ અને શનાળા રોડ વચ્ચે અવરજવર કરતા સ્થાનિકોને બાયપાસ રોડનો ઉપયોગ કરવાની જરૂર રહેશે નહીં, જેનાથી સમય અને અંતર બંનેની બચત થશે.
સુરતના ઐતિહાસિક અને સૌથી વ્યસ્ત એવા ચૌટા બજારમાં વર્ષો જૂના દબાણો સામે આખરે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. મેયરના અલ્ટીમેટમ બાદ પણ દબાણની સ્થિતિમાં સુધારો ન આવતા હવે પોલીસ મેદાનમાં આવી છે. બજારમાં લોખંડનું સ્ટેન્ડ ઊભું કરી ટ્રાફિક અવરોધતા ગુનો દાખલ કરાયો છે, પોલીસે ફેરિયાની ધરપકડ કરી માલ જપ્ત કર્યો છે. દબાણો દૂર કરવા પાલિકા અને પોલીસનો સંયુક્ત મોરચોસુરત શહેરનું હૃદય ગણાતા અને ખરીદી માટે હંમેશા ધમધમતા ચૌટા બજારમાં વર્ષો જૂની દબાણની સમસ્યા પર હવે તંત્રએ 'સર્જિકલ સ્ટ્રાઈક' શરૂ કરી છે. છેલ્લા ઘણા સમયથી અહીંના સ્થાનિકો અને મુસાફરો માટે માથાનો દુખાવો બનેલા દબાણોને દૂર કરવા માટે સુરત મહાનગરપાલિકા અને પોલીસ વિભાગે સંયુક્ત મોરચો માંડ્યો છે. મેયરે અલ્ટીમેટમ આપ્યું હતુંઆશરે 15 દિવસ પહેલા સુરતના મેયર દક્ષેશ માવાણીએ ચૌટા બજાર અને ચૌટા પુલ વિસ્તારની મુલાકાત લીધી હતી. તે સમયે તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો રસ્તા પરના દબાણો સ્વેચ્છાએ દૂર કરવામાં નહીં આવે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. આ અલ્ટીમેટમ બાદ થોડા દિવસો માટે સ્થિતિ સામાન્ય રહી હતી, પરંતુ ત્યારબાદ ફરીથી ફેરિયાઓ અને વેપારીઓએ રસ્તાઓ રોકવાનું શરૂ કર્યું હતું. ઈમરજન્સીમાં ફાયર બ્રિગેડ કે એમ્બ્યુલન્સ પણ પસાર થઈ શકે તેમ નથીમેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, ચૌટા પુલ અને આસપાસના વિસ્તારમાં સ્થિતિ એટલી ગંભીર છે કે જો કોઈ ઈમરજન્સી સર્જાય તો ફાયર બ્રિગેડની ગાડી કે એમ્બ્યુલન્સ પણ પસાર થઈ શકે તેમ નથી. સ્થાનિકોએ મને ફોટોગ્રાફ્સ મોકલીને જાણ કરી હતી કે તંત્રની કડકાઈ બાદ ફરી દબાણો વધ્યા છે. અમે કોઈ પણ ભોગે જનતાની સુરક્ષા સાથે બાંધછોડ નહીં કરીએ. વેપારીએ જાહેર રોડ પર લોખંડનું મોટું સ્ટેન્ડ ગોઠવી દીધુંતંત્રની આકરી સૂચના બાદ અઠવા પોલીસ સ્ટેશનની ટીમ એક્શન મોડમાં આવી છે. પેટ્રોલિંગ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે ચૌટા બજાર ચાર રસ્તા પાસે 'લાલાની બેંગલ' સામે એક વેપારીએ જાહેર રોડ પર લોખંડનું મોટું સ્ટેન્ડ ગોઠવી દીધું હતું. આ સ્ટેન્ડ પર મહિલાઓના એક્સેસરીઝ (બોરીયા-બક્કલ) પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, પરંતુ તેના કારણે ટ્રાફિકમાં ગંભીર અવરોધ ઉભો થતો હતો. જોખમ ઉભું કરવા અને ટ્રાફિકમાં અડચણ કરવાના ગુના હેઠળ વેપારીની ધરપકડપોલીસે તપાસ કરતા માલુમ પડ્યું કે 30 વર્ષીય પ્રકાશ નંદલાલ શાહ નામના શખસે આ દબાણ કર્યું હતું. જાહેર માર્ગ પર જોખમ ઉભું કરવા બદલ અને ટ્રાફિકમાં અડચણ કરવાના ગુના હેઠળ પોલીસે તેની ધરપકડ કરી છે. આ કાર્યવાહીથી ચૌટા બજારના અન્ય દબાણકર્તા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. કેમ ચૌટા બજારમાં દબાણ હટાવવું પડકારરૂપ છે?ચૌટા બજારનો ઈતિહાસ 1700ની સાલથી પણ જૂનો છે. અહીં 800થી વધુ રિટેલ દુકાનો છે અને 1500થી વધુ પાથરણાવાળા-ફેરિયાઓ બેસે છે. અગાઉ પણ અનેકવાર દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, પરંતુ સ્થાનિકોના મતે કેટલાક માથાભારે તત્વો હપ્તા ઉઘરાવીને ફેરિયાઓને બેસાડે છે. ઘણા કિસ્સામાં દુકાનદારો પોતે જ પોતાની દુકાનની બહારની જગ્યા ફેરિયાઓને ભાડે આપે છે.પહેલેથી જ સાંકડા રસ્તાઓ પર દબાણ થવાથી 18 ફૂટનો રસ્તો માત્ર 6-8 ફૂટનો રહી જાય છે. દબાણમુક્ત સુરત બનાવવાની રણનીતિસુરત પોલીસ કમિશનર અને મેયરના સંયુક્ત માર્ગદર્શન હેઠળ હવે આ અભિયાનને વધુ વેગ આપવામાં આવશે. મેયરે સંકેત આપ્યા છે કે જો જરૂર પડશે તો દબાણ કરનાર વેપારીઓની દુકાનો સીલ કરવાની પણ તૈયારી રાખવામાં આવી છે. અત્યાર સુધી માત્ર ફેરિયાઓ સામે કાર્યવાહી થતી હતી, પરંતુ હવે જાહેર માર્ગ પર સ્ટેન્ડ કે સામાન રાખનાર દુકાનદારો સામે પણ ગુના દાખલ થવાની શરૂઆત થઈ ચૂકી છે. ચૌટા બજારના સ્થાનિકોએ આ કામગીરીને વધાવી લીધી છે અને આશા વ્યક્ત કરી છે કે આ વખતે તંત્રની કડકાઈ માત્ર 'બે દિવસનું નાટક' બનીને ન રહી જાય, પરંતુ કાયમી ધોરણે રસ્તાઓ મોકળા બને.
દક્ષિણ ગુજરાતમાં સોમવારે રાત્રે તાપમાનમાં અચાનક ઘટાડો નોંધાયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો. સુરત અને નવસારી જેવા શહેરોમાં પારો ગગડતાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. સુરતમાં રાત્રીનું તાપમાન 2.7 ડિગ્રી ઘટીને 15.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તેવી જ રીતે, નવસારીમાં પણ રાત્રીનો પારો 2.4 ડિગ્રી ઘટીને 15.6 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો હતો. દિવસના તાપમાનમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. સુરતમાં દિવસનો પારો 2.3 ડિગ્રી ઘટીને 33 ડિગ્રીથી 30.7 ડિગ્રી સેલ્સિયસ થયો હતો, જ્યારે નવસારીમાં તે 1.5 ડિગ્રી ઘટીને 30.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. સુરતમાં મહત્તમ તાપમાન 30.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 15.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 77 ટકા અને સાંજે 44 ટકા રહ્યું હતું. નવસારીમાં મહત્તમ તાપમાન 30.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 15.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ડાંગ જિલ્લામાં મહત્તમ તાપમાન 32.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 15.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ દરમિયાન, હવામાન વિભાગે આગામી એકાદ-બે દિવસમાં દિવસ અને રાત્રીનું તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ સુધી વધવાની આગાહી કરી છે.
આજે વર્ષ 2025નો અંતિમ દિવસ એટલે કે 'થર્ટી ફર્સ્ટ'ની ઉજવણીને લઈને જૂનાગઢ પોલીસ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે. નવા વર્ષના સ્વાગતની આડમાં નશો કરી વાહન ચલાવતા અને કાયદો-વ્યવસ્થા બગાડતા તત્વોને પકડવા માટે જિલ્લા પોલીસ દ્વારા વ્યાપક સર્ચ ઓપરેશન અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગોથી લઈને આંતર-જિલ્લા ચેકપોસ્ટો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દારૂ પીધો હશે તો લાઈટ બેટન બ્રેથ એનેલાઇઝર પકડશેઆ વર્ષે પોલીસ દ્વારા 'લાઈટ બેટન બ્રેથ એનેલાઇઝર'નો સઘન ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમજ ડ્રોન કેમેરા દ્વારા પણ ચેકિંગ કામગીરી હાથ ધરાય છે. લાઈટ બેટન બ્રેથ એનેલાઇઝરનો દારૂ પીધેલા ઇસમોને પકડવા માટે અત્યંત અસરકારક સાબિત થઈ રહ્યું છે. તેમાં વ્યક્તિએ કરેલા નશાનું ચોક્કસ પ્રમાણ ડિસ્પ્લે થાય છે. એટલું જ નહીં, આ મશીનમાં રેકોર્ડ પણ સંગ્રહિત થાય છે, જેમાં ચેકિંગનો સમય અને સ્થળની વિગતો સચવાય છે, જે કાયદેસરની કાર્યવાહીમાં પુરાવા તરીકે કામ લાગે છે. આ બ્રેથ એનેલાઇઝર મલ્ટી-પર્પઝ છે, જેમાં લાઈટિંગ સ્ટોર અને ઈમરજન્સીમાં ગ્લાસ તોડવાની પણ સુવિધા છે. આ વિસ્તારોમાં પોઈન્ટ્સ ગોઠવીને વાહન ચેકિંગ કરાયુંપોલીસ દ્વારા જૂનાગઢ શહેરના કાળવા ચોક, મધુરમ વિસ્તાર, સરદાર ચોક, જોષીપરા, ઝાંઝરડા રોડ અને વાડલા ફાટક સહિતના મુખ્ય વિસ્તારોમાં પોઈન્ટ્સ ગોઠવીને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દરેક શંકાસ્પદ વાહન ચાલકની ચકાસણી કરવામાં આવી રહી છે જેથી ડ્રિંક એન્ડ ડ્રાઈવના કારણે થતા અકસ્માતો નિવારી શકાય. સાસણ અને ફાર્મ હાઉસ પર ચેકીંગની કામગીરીજૂનાગઢ જિલ્લાની સરહદો અને ગીર વિસ્તારના સાસણમાં આવેલા ફાર્મ હાઉસ તેમજ રિસોર્ટ પર પોલીસની ખાસ નજર છે. હિતેશ ધાંધલીયાએ આ અંગે વિગત આપતા જણાવ્યું હતું કે, જિલ્લાની તમામ મહત્વની ચેકપોસ્ટો પર પોલીસની ટીમો તૈનાત છે. જૂનાગઢ એલ.સી.બી., એસ.ઓ.જી. અને તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સંયુક્ત રીતે આ કામગીરી કરી રહ્યો છે. જ્યાં જરૂર જણાય ત્યાં સીસીટીવી કેમેરા અને બોડી વોર્ન કેમેરાની પણ મદદ લેવામાં આવી રહી છે. નશાખોરો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહીપોલીસનો સ્પષ્ટ સંદેશ છે કે નવા વર્ષની ઉજવણીમાં મર્યાદા ઓળંગનાર અને નશો કરી વાહન ચલાવનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શાંતિપૂર્ણ માહોલમાં લોકો નવા વર્ષને આવકારે તે માટે તમામ ડિવિઝનના પોલીસ અધિકારીઓ સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. સાસણના ફાર્મ હાઉસોમાં પણ કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ ન થાય તે માટે આકસ્મિક ચેકિંગ ચાલુ રાખવામાં આવ્યું છે.
સંસ્કાર નગરી વડોદરામાં ગેંડા સર્કલ પર જાહેરમાં પેશાબ કરતા યુવકનો વીડિયો વાયરલ થયો છે. ટ્રાફિક સિગ્નલ પર બાઈક ઊભી રાખીને શરમજનક હરકત કરી હતી. આ સમયે એક વાહન ચાલકે કહ્યું હતું કે, આ 99.99% આ પીધેલો છે. આ વીડિયો વાયરલ થતા પોલીસ દોડતી થઈ હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 'અફકોર્સ આ 99.99% આ પીધેલો છે આ ભાઈ'વાયરલ વીડિયોમાં એક વ્યકિત કહે છે કે, જુઓ આ પેલા ભાઈ અહીંયા ચાલુ ટ્રાફિક છે, એકદમ ચાલુ ટ્રાફિક છે, અહીંયા લોકો બેસે છે અને આ બાઈકવાળા ભાઈ એટલા વધારે પડતા બેશરમ છે કે બધા લોકોની સામે ત્યાં શું શું કરવા બેઠા છે! અફકોર્સ આ 99.99% આ પીધેલો છે આ ભાઈ. આ ભાઈ જોઈ લો તમે. જો આ પરફેક્ટ પીધેલા ભાઈ છે આ. આ લાલ સિગ્નલ ઉપર આ વ્યક્તિ... તો હું વડોદરા પોલીસને તો કહેવા માંગુ છું કે 31st ચાલુ થઈ ગઈ છે તો આવા તત્વો પણ દેખાય છે. પોલીસે આરોપીને ઝડપ્યો અને ઉઠક બેઠક કરાવીગોરવા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા એક વીડિયોની જાણ થઈ હતી કે, એક યુવક જાહેર સ્થળે નશાની હાલતમાં શરમજનક વર્તન કરતો દેખાતો હતો. પોલીસે તુરંત તપાસ હાથ ધરી અને ગણતરીના કલાકોમાં જ આરોપી ગણેશ દિનકર સોનવણેને ઝડપી પાડ્યો હતો અને તેની બાઇક જપ્ત કરી છે અને તેને કાન પકડાવીને ઉઠક બેઠક કરાવી હતી. યુવક વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં સલૂન ચલાવે છે. પકડાયેલ આરોપીની વિગતો: પ્રોહીબિશનનો ગુનો નોંધાયોગોરવા પોલીસ સ્ટેશનના પીઆઇ કિરીટ લાઠીયાએ જણાવ્યું હતું કે, યુવકનો વીડિયો વાયરલ થતા અમે તુરંત તેની શોધખોળ શરૂ કરી હતી અને તેને લક્ષ્મીપુરા વિસ્તારમાંથી તેને ઝડપી પાડ્યો છે અને તેની સામે પ્રોહીબિશનનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
વિજય હજારે ટ્રોફી 2025-26ની વન ડે ટુર્નામેન્ટમાં આજ રોજ રાજકોટ ખાતે અલગ અલગ ચાર મેચ રમાઈ છે. જેમાં એક મેચ બંગાળ અને જમ્મુ કાશ્મીર વચ્ચે, બીજો મેચ આસામ અને ઉત્તરપ્રદેશ વચ્ચે, ત્રીજો મેચ બરોડા અને હૈદરાબાદ વચ્ચે અને ચોથો મેચ ચંદીગઢ અને વિદર્ભ વચ્ચે રમાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં વિજય હજારે ટ્રોફી 2025-26ની 24 ડિસેમ્બર 2025થી શરૂ કરી 8 જાન્યુઆરી 2026 સુધી અલગ અલગ 8 ટિમો વચ્ચે કુલ 28 મેચો રમાનાર છે જે પૈકી અત્યાર સુધી 12 મેચ રમાઈ ચુકી છે અને આજે 4 મેચ રમવાની શરૂઆત થઇ ચુકી છે. વિહય હજારે ટ્રોફી 205-26ની મેચ રાજકોટ જામનગર હાઇવે પર આવેલ ખંઢેરી ગામ સ્થિત નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બે મેચ રમાઈ રહી છે જયારે અન્ય બે મેચ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન પેવેલિયન સણોસરા ખાતે રમાઈ રહી છે. જેમાં એક મેચ બંગાળ અને જમ્મુ કાશ્મીર વચ્ચે સણોસરા ગ્રાઉન્ડ A ખાતે, બીજો મેચ આસામ અને ઉત્તરપ્રદેશ વચ્ચે નિરંજન શાહ સ્ટેડિયમ ગ્રાઉન્ડ A ખાતે, ત્રીજો મેચ બરોડા અને હૈદરાબાદ વચ્ચે સણોસરા ગ્રાઉન્ડ B ખાતે અને ચોથો મેચ ચંદીગઢ અને વિદર્ભ વચ્ચે નિરંજન શાહ સ્ટેડિયમ ગ્રાઉન્ડ B ખાતે રમાઈ રહ્યો છે. આજે સવારે 9 વાગ્યાથી ચારેય મેચ શરૂ થઇ ચુકી છે જેમાં પ્રથમ મેચની અંદર બંગાળ અને જમ્મુ કાશ્મીર વચ્ચે મેચમાં બંગાળની ટીમે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું છે જયારે બીજા આસામ અને ઉત્તરપ્રદેશ વચ્ચે મેચમાં આસામની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવા પસંગ કર્યું છે તેમજ ત્રીજા બરોડા અને હૈદરાબાદ વચ્ચે મેચમાં હૈદરાબાદ ટીમે ટોસ જીતી ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું છે અને ચોથા ચંદીગઢ અને વિદર્ભ વચ્ચે મેચ વિદર્ભ ટીમે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરવા નિર્ણય કર્યો છે. આજે પ્રથમ એક કલાકની અંદર જ વિદર્ભ ટીમની ચંદીગઢ સામે 58 રનમાં 5 વિકેટ પડી ચુકી છે. જયારે બંગાળ સામે જમ્મુ કાશ્મીરની 20 રનમા 4 વિકેટ પડી ચુકી છે તેમજ હૈદરાબાદ સામે બરોડા ટીમે એક પણ વિકેટ ગુમાવ્યા વગર 97 રન બનાવ્યા છે જેમાં અમિત પેસીએ 5 ચોગ્ગા અને 4 છગ્ગા મદદથી હાફ સેન્ચુરી ફટકારી છે. અને ઉત્તરપ્રદેશ સામે આસામની ટીમે 2 વિકેટ ગુમાવી 77 રન બનાવ્યા છે.
વિસનગરમાં ઈકો કારની ટક્કરે યુવક ઘાયલ:9 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ, તપાસ શરૂ
વિસનગરમાં કડા ચોકડીથી દીપડા દરવાજા વચ્ચે એક ઈકો ગાડીએ બાઈક સવાર યુવકને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવકને જમણા હાથે ફ્રેક્ચર સહિત શરીરે ઈજાઓ પહોંચી હતી. ઘટનાના નવ દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદી સંકેતભાઈ કિર્તીભાઈ પટેલ ગત તારીખ 21 ડિસેમ્બર, 2025ના રોજ સાંજના સમયે પોતાની મોટરસાયકલ (GJ-02-AB-5087) લઈને કડા ચોકડીથી દીપડા દરવાજા તરફ જઈ રહ્યા હતા. ઉમા ગાર્ડન પાસે પહોંચતા, GJ-02-BE-3119 નંબરની ઈકો ગાડીના ચાલક અમરતજી ગણપતજી ઠાકોરે પોતાની ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી સંકેતભાઈની બાઈકને ડાબી બાજુથી ટક્કર મારી હતી. ટક્કર વાગતા સંકેતભાઈ ડિવાઈડર પર પછડાયા હતા, જેના કારણે તેમને જમણા હાથે ફ્રેક્ચર થયું હતું અને ઢીંચણ તેમજ કમરના ભાગે પણ ઈજાઓ થઈ હતી. અકસ્માત સર્જનાર ઈકો ચાલક પોતે જ તેમને સારવાર માટે એસ.કે. નુતન જનરલ હોસ્પિટલ લઈ ગયો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના હાથનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ બનાવ અંગે સંકેતભાઈએ 30 ડિસેમ્બરના રોજ વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વિસનગર શહેર પોલીસે આ મામલે અમરતજી ગણપતજી ઠાકોર (રહે. ભુણાવ, તા. ઊંઝા) વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હિંમતનગરમાં બે વાહનોમાં આગ:મહેતાપુરા વિસ્તારમાં લાગેલી આગને ફાયર બ્રિગેડે બુઝાવી, કારણ અકબંધ રહ્યું
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આજે વહેલી સવારે મહેતાપુરા વિસ્તારમાં પાર્ક કરેલા બે વાહનોમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જ હિંમતનગર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જોકે, આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. હિંમતનગર ફાયર વિભાગના SO મયંક પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, મંગળવારે વહેલી સવારે મહેતાપુરા ચારરસ્તાથી ઇડર તરફના માર્ગ પર આવેલી સધી મોટર્સ સામે એક સ્વીફ્ટ કાર અને એક છોટા હાથી વાહન પાર્ક કરેલા હતા. આ બંને વાહનોમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગનો કોલ મળતા જ ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને અંદાજે 2500 લીટરથી વધુ પાણીનો ઉપયોગ કરીને આગને સંપૂર્ણપણે બુઝાવી દીધી હતી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ પણ અકબંધ છે અને તેની તપાસ ચાલી રહી છે.
સુરત શહેર અને તેની આસપાસના ઔદ્યોગિક વિસ્તારો જેમ કે સચિન, પાંડેસરા, પલસાણા અને કડોદરા GIDC માંથી નીકળતા ઝેરી ધુમાડાને કારણે પર્યાવરણ અને જાહેર આરોગ્ય પર ગંભીર ખતરો મંડરાઈ રહ્યો છે. આ સમસ્યાના ઉકેલ માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) એ હવે ટેકનોલોજીનો સહારો લીધો છે. અત્યાર સુધી જે કામ માટે અધિકારીઓએ રૂબરૂ જવું પડતું હતું, તે કામ હવે હાઈ-ટેક 360 ડિગ્રી કેમેરા કરશે. શું છે આ 360 ડિગ્રી 'વોચડોગ' 360 કેમેરા?દક્ષિણ ગુજરાત પ્રોસેસિંગ હાઉસ એસોસિયેશનના પ્રમુખ જીતુ વખારિયાના જણાવ્યા અનુસાર, આ એક ખાસ પ્રકારનો PTZ (Pan-Tilt-Zoom) કેમેરો છે. આ કેમેરો તેની આસપાસના સમગ્ર વાતાવરણને ગોળાકાર દ્રશ્યમાં કેપ્ચર કરી શકે છે. તે ઉપર, નીચે, ડાબે અને જમણે એમ તમામ દિશામાં ફરી શકે છે. આ કેમેરાની કિંમત અંદાજે 2.5 લાખ છે અને તેને જમીનથી 45 ફૂટ ઊંચા પોલ પર લગાવવામાં આવ્યો છે. આટલી ઊંચાઈને કારણે અડધા કિલોમીટરની ત્રિજ્યામાં આવતી તમામ ફેક્ટરીઓની ચિમનીઓ સ્પષ્ટ જોઈ શકાય છે. કેવી રીતે પકડાશે પ્રદૂષણ?GPCBના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કેમેરાનું મોનિટરિંગ કરવા માટે ખાસ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. જો કોઈ ફેક્ટરીની ચિમનીમાંથી સતત 15થી 20 મિનિટ સુધી કાળો કે ઝેરી ધુમાડો નીકળતો જણાશે, તો કેમેરા દ્વારા તેનો ફોટો અને વીડિયો લેવામાં આવશે. આ પુરાવાઓને તાત્કાલિક સંબંધિત વોટ્સએપ ગ્રુપમાં શેર કરવામાં આવશે અને ફેક્ટરી માલિકને ફોન દ્વારા જાણ કરવામાં આવશે. પ્રદૂષણનું સ્તર 150 SPM વધશે તો નોટિસ, દંડ અને લાયન્સ રદ થઈ શકે છેગ્રુપમાં મેસેજ આવતાની સાથે જ તે વિસ્તારના ગ્રાઉન્ડ ઓફિસર ઘટનાસ્થળે પહોંચી તપાસ કરશે. જો 10 મિનિટથી વધુ સમય સુધી ધુમાડો ચાલુ રહે અને પ્રદૂષણનું સ્તર 150 SPM (Suspended Particulate Matter)થી વધુ જણાશે, તો નોટિસ આપવામાં આવશે. પ્રથમ તબક્કે 25,000થી લઈને લાખો રૂપિયા સુધીનો દંડ અને વારંવારના ઉલ્લંઘન પર ફેક્ટરીનું લાયસન્સ રદ કરવાની જોગવાઈ છે. સુરતમાં એક વર્ષમાં જ પ્રદૂષણના 3,696 કેસછેલ્લા એક વર્ષમાં સુરતના ઔદ્યોગિક વિસ્તારોમાં પ્રદૂષણ ઉત્સર્જનના કુલ 3,696 કેસ નોંધાયા હતા. જેમાંથી 3,615 એકમો નિયમોનું પાલન ન કરતા હોવાનું માલૂમ પડ્યું હતું. જોકે, પુરાવાઓના અભાવે માત્ર 81 એકમો સામે જ કડક કાર્યવાહી થઈ શકી હતી. આ ટેકનોલોજી આવવાથી હવે GPCB પાસે મજબૂત વીડિયો પુરાવા હશે, જેથી કોઈ પણ કસૂરવાર બચી શકશે નહીં. દરેક સીઝનમાં 24 કલાક વાસ્તવિક સ્થિતિ જાણી શકાશેGPCB ના પ્રાદેશિક અધિકારી અરુણ પટેલે ટેલીફોનીક જણાવ્યું હતું કે, સુરતમાં પ્રદૂષણ નિયંત્રણ માટે આ એક મોટું અને નિર્ણાયક પગલું છે. આ HD કેમેરાની મદદથી અમે દરેક સીઝનમાં અને 24 કલાક વાસ્તવિક સ્થિતિ જોઈ શકીશું. અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સુરતના નાગરિકો શુદ્ધ હવામાં શ્વાસ લઈ શકે. પાંડેસરા અને પલસાણાના અન્ય હોટસ્પોટ વિસ્તારોમાં કેમેરા લગાવાયાસર્વપ્રથમ સચિન GIDC માં ડેમો તરીકે એક કેમેરો લગાવવામાં આવ્યા. જેના પરિણામો ખૂબ જ સકારાત્મક જોવા મળ્યા છે. ઉદ્યોગપતિઓ પણ હવે જાગૃત થયા છે અને પ્રદૂષણની માત્રામાં ઘટાડો નોંધાયો છે. જેથી હવે પાંડેસરા અને પલસાણાના અન્ય હોટસ્પોટ વિસ્તારોમાં પણ આવા વધુ કેમેરા લગાવવામાં આવ્યા છે સમગ્ર ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટને ડિજિટલ સર્વેલન્સ હેઠળ લાવવામાં આવ્યા છે.
ભરૂચમાં ઠંડીનો ચમકારો:લઘુત્તમ તાપમાન એક ડિગ્રી ઘટ્યુ, 28 ડિગ્રીમાં લોકો ઠૂઠવાયા
ભરૂચ જિલ્લામાં લઘુત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો નોંધાતા ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. છેલ્લા અનેક દિવસોથી સવાર અને રાત્રિ દરમિયાન ઠંડી વધુ તીવ્ર રીતે અનુભવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ દરમિયાન તાપમાનમાં વધુ ઘટાડાની શક્યતા સેવાઈ રહી છે. આગાહી અનુસાર જિલ્લામાં મહત્તમ તાપમાન ઘટીને અંદાજે 28 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે, જ્યારે લઘુત્તમ તાપમાન ઘટીને લગભગ 14 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા છે. ખાસ કરીને વહેલી સવાર અને મોડીરાત્રે ઠંડીની અસર વધુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વધતી ઠંડીને ધ્યાનમાં રાખીને નાગરિકોને ગરમ કપડાં પહેરવા તેમજ સવાર-રાત્રિના સમયે જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
પાટણ લેઉવા પાટીદાર કેળવણી પ્રગતિ મંડળ દ્વારા 4 જાન્યુઆરી, 2026, રવિવારના રોજ પાટણ લેઉવા પાટીદાર સમાજની વાડી ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ અને સન્માનિત કરવામાં આવશે, તેમજ દીકરી જન્મદરને પ્રોત્સાહન આપવા માટે 'બેટી બચાવો, બેટી વધાવો' અભિયાન હેઠળ દીકરીઓને વધાવવામાં આવશે. મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સન્માન સમારોહ યોજાઈ રહ્યો છે. આ સાથે, સમાજમાં દીકરીઓના મહત્વ અને જન્મદર અંગે જાગૃતિ લાવવા માટે 'બેટી બચાવો, બેટી વધાવો' કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે. આ સમારોહના પ્રમુખ તરીકે રમેશભાઈ ભગવાનભાઈ પટેલ ઉપસ્થિત રહેશે, જેઓ વર્ષ 2025ના ઈનામ વિતરણ અને 'બેટી બચાવો-બેટી વધાવો' કાર્યક્રમના સંયુક્ત દાતા પણ છે. મુખ્ય મહેમાન તરીકે દલસીબેન ભગવાનભાઈ પટેલ હાજરી આપશે. અતિથિ વિશેષ તરીકે ગાયનેકોલોજિસ્ટ અને લેપ્રોસ્કોપિક સર્જન ડૉ. પ્રિયાંશી ડી. પટેલ માર્ગદર્શન આપશે. અન્ય આમંત્રિત મહેમાનોમાં વર્ષ 2026ના 'બેટી બચાવો-બેટી વધાવો' કાર્યક્રમના દાતા શશીબેન જયંતીલાલ પટેલ, તેમજ વર્ષ 2025-26ના ઈનામ વિતરણના દાતા રણછોડભાઈ પૂંજાભાઈ પટેલ અને કાન્તીભાઈ વિરચંદભાઈ પટેલનો સમાવેશ થાય છે. આ સમગ્ર આયોજન પ્રમુખ શૈલેષકુમાર સી. પટેલ, મંત્રી મહેન્દ્રભાઈ એચ. પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત જ્ઞાતિજનો માટે ચા-નાસ્તાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.
બોટાદ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા રમેશ શીલુંએ ગંભીર આક્ષેપ કર્યો છે કે બોટાદ શહેર અને સમગ્ર જિલ્લામાં ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં મેડિકલ સ્ટોર ચાલી રહ્યા છે. વિપક્ષ નેતાના જણાવ્યા અનુસાર, બોટાદ શહેર તેમજ જિલ્લાના ગઢડા, રાણપુર, બરવાળા અને બોટાદ તાલુકા મથકો પરના અનેક મેડિકલ સ્ટોરમાં ફરજિયાત ફાર્માસિસ્ટ હાજર હોતા નથી. ફાર્માસિસ્ટને બદલે અન્ય વ્યક્તિઓ દ્વારા દવાઓ આપવામાં આવી રહી છે, જેનાથી સામાન્ય જનતાના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. રમેશ શીલુંએ વધુમાં જણાવ્યું હતું કે બોટાદ જિલ્લામાં ફૂડ અને ડ્રગ વિભાગનો કોઈ કાયમી અધિકારી હાલ હાજર નથી. આના કારણે મેડિકલ સ્ટોર પર દેખરેખનો અભાવ જોવા મળે છે. તેમણે આરોપ લગાવ્યો કે નિયમોનું ઉલ્લંઘન થવા છતાં જવાબદાર તંત્ર મૌન છે. વિપક્ષ નેતાએ તાત્કાલિક બોટાદ જિલ્લામાં ફૂડ-ડ્રગ વિભાગના કાયમી અધિકારીની નિમણૂક કરવાની માંગ કરી છે. તેમણે ફાર્માસિસ્ટ વગર ચાલતા તમામ મેડિકલ સ્ટોરની ઊંડાણપૂર્વક તપાસ કરીને કડક કાર્યવાહી કરવા પણ અપીલ કરી છે.
સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ:ઠંડીમાં પોરબંદર, દ્વારકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ
સૌરાષ્ટ્રના પોરબંદર સહિત ગ્રામ્ય પંથકના વિવિધ તાલુકાના વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયેલું હતું. દ્વારકા, કલ્યાણપુર અને આસપાસના ગામોમાં પણ ઝરમર વરસાદ નોંધાયો છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. જોકે, કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડકનો અનુભવ પણ થયો છે.
મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતેની ખાનગી માલિકીની જમીનમાં ગેરકાયદે ખોદકામ કરવામાં આવતું હોવાની પૂર્વ બાતમીના આધારે સ્થાનિક ભૂસ્તર અધિકારીઓના કાફલાએ છાપો મારીને બે જેસીબી મશીન, પાંચ ડમ્પર ઝડપી લીધાં હતા. તેવી જ રીતે સતલાસણા અને ઊંઝાના ઉનાવા રોડ પરથી ગેરકાયદે ખનિજ ચોરી જતાં બે ડમ્પર ગાડીને પકડી લઈ સ્ટોકયાર્ડમાં મુકાવી દીધાં હતા. મહેસાણા ખાણ ખનિજ અધિકારીઓએ બે જેસીબી મશીન તથા સાત ડમ્પર મળી આશરે કુલ 2.45 કરોડનો મુદ્દામાલ ઝડપી લઈ તેના વાહન માલિકો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. બે જેસીબી મશીન તથા પાંચ ડમ્પર મળી કુલ રૂ.1.85 કરોડનો મુદ્દામાલ જપ્તમહેસાણા જિલ્લો ખનિજ,માફિયા શખસો માટે રેઢા પટસમાન હોય તેમ ખનિજ ખનન, વહન કરતા વાહનોને છાસવારે ભૂસ્તર અધિકારીઓ ઝડપી લઈને તોતિંગ દંડ ફટકારી તેની વસુલાત કર્યા બાદ વાહનોને મુક્ત કરવામાં આવતાં હોય છે. દરમિયાનમાં વિજાપુર ખાતેની ખાનગી માલિકીની જમીનમાં રોયલ્ટી પરમીટ વગર ખાણકામ કરવામાં આવતું હોવાની પૂર્વબાતમીના આધારે રોયલ્ટી ઓફિસર, માઈન્સ સુપરવાઈઝર સહિતના મસમોટા કાફલાએ ત્રાટકી ગેરકાયદે સાદી માટી ખોદકામ કરતાં બે જેસીબી મશીન તથા પાંચ ડમ્પર મળી કુલ રૂ.1.85 કરોડનો મુદ્દામાલ ઝડપી લઈ તેના વાહન માલિકો સામે દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખનિજ ખનન કરનાર આસામીઓને દંડ ફટકારાયોવિજાપુરમાં ખાનગી માલિકીની જમીનમાં ખાણકામ કરતાં ઝડપાયેલાં એક જેસીબી મશીન તથા ત્રણ ડમ્પરને વિજાપુર પોલીસ સ્ટેશન ખાતે તેમજ એક જેસીબી મશીન અને બે ડમ્પર નજીકના સલામત સ્થળે મુકવામાં આવ્યાં હતા. મળતી માહિતી મુજબ ખાનગી માલિકીની જમીનમાં ખનિજ માફિયા દ્વારા કરવામાં આવેલાં ખાણકામની જગ્યાની માપણીની કામગીરી પુરી કરવામાં આવી છે. જેના આધારે ખનિજ ખનન કરનાર આસામીઓને દંડ ફટકારવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. દરમિયાનમાં સતલાસણા રોડપરથી ગેરકાયદે કપચી ભરીને જતાં એક ડમ્પરને મહેસાણા ભૂસ્તર અધિકારીઓએ ઝડપી લીધું હતુ. સાત ડમ્પર ટ્રક મળી કુલ રૂ.2.45 કરોડનો મુદ્દામાલ જપ્તતેવી જ રીતે, ઊંઝા તાલુકાના ઉનાવા રોડ પરથી અનધિકૃતરીતે સાદી રેતી ખનિજચોરી જતાં એક ડમ્પર ગાડીને પકડી પાડી ઉનાવા પોલીસ સ્ટેશન ખાતે મુકાવીદીધી હતી. સતલાસણા અને ઉનાવા રોડ પરથી કપચી, રેતી, ડમ્પર મળી કુલ રૂ.60 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. આમ, મહેસાણા જિલ્લા ખાણ ખનિજ અધિકારીઓએ બે દિવસમાં બે જેસીબી મશીન, સાત ડમ્પર ટ્રક મળી કુલ રૂ.2.45 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ગાંધીનગર-મહેસાણા હાઇવે પર ઝુંડાલ બ્રિજ પાસે ગઈકાલે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે જઈ રહેલી ટ્રકે પાછળથી એક્ટિવા સવાર દંપતીને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં વાવોલ રહેતા અને મૂળ ચરાડાના 70 વર્ષીય વૃદ્ધનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પત્નીને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં તેમનો પગ કાપવાની ફરજ પડી છે. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. ટ્રક ચાલકે એક્ટિવાને જોરદાર ટક્કર મારીમળતી વિગત મુજબ, ગાંધીનગરના વાવોલ ખાતે રહેતા 70 વર્ષીય માનસિંહભાઈ રેવાભાઈ ચૌધરી અને તેમના પત્ની 63 વર્ષિય રમીલાબેન ગઈકાલે સવારે એક્ટિવા પર સવાર થઈ ગાંધીનગરથી અમદાવાદ તરફ જઈ રહ્યા હતા. ત્યારે સવારના આશરે સવા બારેક વાગ્યે ઝુંડાલ બ્રિજ પાસે પાછળથી આવી રહેલી ટ્રક (નંબર: CG-07-BL-5466) ના ચાલકે પોતાની ટ્રક ગફલતભરી રીતે હંકારી એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટ્રકનું ટાયર ફરી વળતાં વૃદ્ધનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોતઆ અકસ્માતના પગલે દંપતી એક્ટિવા પરથી ઉછળીને રોડ પર પટકાયું હતું . એક ઘડીએ ટ્રકનું ટાયર માનસિંહભાઈના શરીર પર ફરી વળતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.જ્યારે રમીલાબેનના બંને પગ અને હાથ પર પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. ડાબો પગ ઘૂંટણથી નીચેના ભાગેથી કાપી નાખવાની ફરજ પડીઆ અકસ્માત બાદ સ્થળ પર સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. બાદમાં ગંભીર ઈજાગ્રસ્ત રમીલાબેનને 108 મારફતે તાત્કાલિક એસ.એમ.એસ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાંથી વધુ સારવાર અર્થે તેઓને અમદાવાદની કે.ડી. હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબોને રમીલાબેનનો ડાબો પગ ઘૂંટણથી નીચેના ભાગેથી કાપી નાખવાની ફરજ પડી હતી. અને હાથમાં ફ્રેક્ચર હોવાથી સળીયો નાખવામાં આવ્યો હતો. હાલ તેઓ આઈ.સી.યુ. વોર્ડમાં સારવાર હેઠળ છે. મૃતદેહને પી.એમ. અર્થે ખસેડાયોઆ બનાવની જાણ કલોલ રેલવે સ્ટેશન પર સ્ટેશન માસ્ટર તરીકે ફરજ બજાવતા મૃતક માનસિંહભાઈના સાળા સંજયભાઈ જેઠાભાઈ ચૌધરી સ્થળ પર પહોંચ્યા હતાં. ત્યારે અડાલજ પોલીસે મૃતદેહને પી.એમ. અર્થે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે સંજયભાઈએ ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા અડાલજ પોલીસે ફરિયાદ નોંધી વધૂ તપાસ હાથ ધરી છે.
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં જમીન સંપાદન અને વહીવટી ઉદાસીનતાને કારણે ગંભીર અવરોધો ઉભા થયા છે. રોડવેઝ સોલ્યુશન ઈન્ડિયા ઈન્ફ્રા લિમિટેડના સ્ટ્રક્ચર હેડ ગુંજન મિશ્રાએ પ્રોજેક્ટ ડિરેક્ટર (PD) પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે યોગ્ય સંકલનના અભાવે કરોડો રૂપિયાના પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો છે. ગુંજન મિશ્રાના જણાવ્યા અનુસાર, પેકેજ 8 હેઠળ છેલ્લા છ વર્ષથી કામ ચાલી રહ્યું હોવા છતાં, કરાર મુજબની 90% જમીન હજુ સુધી ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. અત્યાર સુધી માત્ર 80.1% જમીન જ મળી છે, જ્યારે 6.65 કિલોમીટરનો પટ્ટો હજુ પણ અવરોધિત છે. આ જમીન સંપાદનના વિલંબને કારણે અસરગ્રસ્ત ખેડૂતોને વળતરની રકમ મળી નથી, જેના પરિણામે તેઓ કામ અટકાવી રહ્યા છે. આ સ્થિતિમાં કંપનીની મશીનરી અને મેનપાવર વણવપરાયેલા પડ્યા છે, જે કંપનીને મોટું નુકસાન પહોંચાડી રહ્યું છે. પેકેજ 10 (કોચઈ ગામ) માં પણ જમીનનો પ્રશ્ન વણઉકેલ્યો છે. ત્યાં કામદારો સાથે મારામારી અને કરોડો રૂપિયાના મટીરીયલની ચોરી થતી હોવાની ઘટનાઓ પણ સામે આવી છે, જે સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ઊભો કરે છે. કંપનીના અધિકારીએ આક્ષેપ કર્યો છે કે પ્રોજેક્ટ ડિરેક્ટરનું ધ્યાન માત્ર NH-48 પર જ કેન્દ્રિત છે, જેના કારણે અન્ય પેકેજોની અવગણના થઈ રહી છે. NH-48 પર પણ કામની ગુણવત્તા નબળી હોવાને કારણે અકસ્માતો અને ખાડાઓની સમસ્યા યથાવત છે, જે વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહી છે. જમીન સંપાદન ઉપરાંત, કંપનીના પેમેન્ટ (બિલિંગ) ના પ્રશ્નો પણ અટવાયેલા છે. બે બિલ હજુ પણ પેન્ડિંગ હોવાને કારણે કંપની આર્થિક મુશ્કેલી અનુભવી રહી છે. આ પરિસ્થિતિમાં પ્રોજેક્ટ ડિરેક્ટર દ્વારા કોન્ટ્રાક્ટ ટર્મિનેટ કરવાની ધમકીઓ અપાતી હોવાનું પણ સામે આવ્યું છે, જેનાથી કામદારો અને વેન્ડરોમાં મુંઝવણ વધી છે.
નગરપાલિકામાં પ્રમુખ હિરલ પરમાર અને ઉપપ્રમુખ વચ્ચે લેગેસી વેસ્ટના ટેન્ડર પ્રક્રિયા મુદ્દે વિવાદ સર્જાયો છે. પ્રમુખે ઉપપ્રમુખ દ્વારા બોલાવવામાં આવેલી સામાન્ય સભા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પ્રમુખનો આક્ષેપ છે કે વિકાસના કામોના વર્ક ઓર્ડર અપાઈ ગયા હોવા છતાં, ઉપપ્રમુખ લેગેસી વેસ્ટના કામમાં અંગત સ્વાર્થ સાધવા માટે બોર્ડ બોલાવી રહ્યા છે. પ્રમુખ હિરલ પરમારે સ્પષ્ટતા કરી કે ઉપપ્રમુખ દ્વારા બોલાવાઈ રહેલી સામાન્ય સભામાં વિકાસના કામોનો ઉલ્લેખ કરાયો છે. જોકે, રોડ-રસ્તા અને રેલિંગ જેવા વિકાસના કામોના વર્ક ઓર્ડર અપાઈ ચૂક્યા છે. લેગેસી વેસ્ટનું ત્રીજું મહત્વનું કામ હતું, જેનું પ્રથમ ટેન્ડર 21% ઊંચા ભાવે આવ્યું હતું. નાણાકીય પારદર્શિતા જાળવવા ચીફ ઓફિસરને તે ટેન્ડર રદ કરી ફરીથી પ્રક્રિયા કરવા સૂચના અપાઈ હતી. રી-ટેન્ડર પ્રક્રિયા બાદ આ કામ 3% ઓછા ભાવે આવ્યું છે, જેનાથી નગરપાલિકાની તિજોરીને થતું નુકસાન અટક્યું છે. પ્રમુખે જણાવ્યું કે 21% ઊંચા ભાવવાળી એજન્સીએ નગરપાલિકા સામે કાનૂની કાર્યવાહી કરી છે. આગામી જાન્યુઆરીમાં મળનારી સામાન્ય સભામાં આ તમામ મુદ્દાઓનો સમાવેશ કરવાની ખાતરી અપાઈ હોવા છતાં, ઉપપ્રમુખ દ્વારા અલગથી બોર્ડ બોલાવવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. પ્રમુખે આક્ષેપ કર્યો કે લેગેસી વેસ્ટના કામમાં ઉપપ્રમુખનો અંગત સ્વાર્થ હોવો જોઈએ, કારણ કે તેઓ નગરપાલિકાને આર્થિક નુકસાન થાય તેવા કામમાં ઉતાવળ કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે જો આગામી સમયમાં સામાન્ય સભા બોલાવવામાં આવશે, તો સંગઠનને સાથે રાખીને નિયમોનુસાર કાર્યવાહી કરાશે.
ચોટીલા નાયબ કલેકટર એચ.ટી. મકવાણા અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમે ચોટીલા તાલુકાના મોટી મોલડી, નાની મોલડી અને ચાણપા ગામમાં નેશનલ હાઈવે 47 પર આવેલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં મોમાઈ હોટલ, જય દ્વારકાધીશ હોટલ અને તુલસી હોટલ સહિતના પાકા બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. આશરે રૂ. 11.24 કરોડથી વધુની સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. મોટી મોલડી ગામના સર્વે નંબર 353 પર આવેલી ઠાકર મંદિર (દિવેલિયુ)ની જમીન પર મોમાઈ હોટલ દ્વારા આશરે 2 એકર જમીન પર કોઈપણ પરવાનગી વગર વાણિજ્યિક ઉપયોગ કરવામાં આવતો હતો. આ પૈકી 1 એકર જમીન પર પાકું બાંધકામ અને હાઈવેને અડીને ચા-નાસ્તાનું સેટઅપ ઊભું કરાયું હતું. હોટલના માલિક જેન્તીભાઈ બાબુભાઈ બાવળિયા (રહે. રાજકોટ) દ્વારા હોટલ, ચા, પંચર, પાન મસાલા, કરિયાણાની દુકાનો, સ્ટાફ ક્વાર્ટર અને ટોયલેટ બ્લોક્સ બનાવી ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. દબાણકર્તાઓને 30 ડિસેમ્બર, 2025ના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં સ્વૈચ્છિક રીતે દબાણ હટાવવા માટે સમય આપવામાં આવ્યો હતો. તેમ છતાં દબાણ દૂર ન થતાં, રાત્રે 10 વાગ્યે નાયબ કલેકટર અને મામલતદારની ટીમે કાર્યવાહી કરીને આ ગેરકાયદેસર પાકા બાંધકામો દૂર કર્યા હતા. આ કાર્યવાહીમાં 8 દુકાનો અને સ્ટાફ ક્વાર્ટર પણ હટાવવામાં આવ્યા હતા, અને આશરે રૂ. 7.20 કરોડની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. ચાણપા ગામમાં સર્વે નંબર 19 પર આવેલી 2 એકર સરકારી પડતર જમીન પર જય દ્વારકાધીશ હોટલ દ્વારા કબજો જમાવી વાણિજ્યિક ઉપયોગ કરવામાં આવતો હતો. હામાભાઈ સાદુલભાઈ રબારી (રહે. ચાણપા) દ્વારા ચા-પાણીની હોટલ બનાવી ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. બપોરના 3 વાગ્યે નાયબ કલેકટર અને મામલતદારની સંયુક્ત ટીમે કાર્યવાહી કરીને પતરાના શેડવાળી આ હોટલ અને એક ગેરેજ કેબિનનું દબાણ દૂર કર્યું હતું. આશરે રૂ. 4.04 કરોડ 70 લાખની સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. નાની મોલડી ગામમાં સર્વે નંબર 122 પર આશરે 3 એકર જમીન પર તુલસી હોટલ દ્વારા ગેરકાયદેસર કબજો જમાવવામાં આવ્યો હતો. પ્રવીણભાઈ છનાભાઈ સભાયા (રહે. રાજકોટ) દ્વારા ઘણા સમયથી આ જમીન પર તુલસી હોટલ, ચા, પંચર, પાન મસાલાની દુકાનો અને હોટલ સ્ટાફ ક્વાર્ટર સહિતના પાકા બાંધકામો કરી વાણિજ્યિક હેતુ માટે ઉપયોગ કરવામાં આવતો હતો. જે રાત્રીના 11 કલાકે નાયબ કલેકટર ચોટીલા એચ.ટી.મકવાણા તથા મામલતદાર ચોટીલાની સંયુકત ટીમ દ્વારા ગેરકાયદેસર પાકા બાંધકામ વાળા દબાણો દૂર કરવામાં આવ્યા. (1) તુલસી હોટલ(2) 2 દુકાનો (ચા,પાન મસાલા)(3) 2 હોટલ સ્ટાફ કવાર્ટસ(4) ટોયલેટ બાથરૂમ બ્લોક ગેરકાયદેસર બાંઘકામ કરેલ હતા તે બાંઘકામ સરકારી જમીનમાંથી દુર કરાવી આશરે 8,49,87,000 (અંકે રૂપિયા આઠ કરોડ ઓગણપચાસ લાખ અત્યાસી હજાર પુરા) કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવેલ.ઉક્ત તમામ ગેરકાયદેસર બાંઘકામનુ કુલ ક્ષેત્રફળ એકર 7-00 ગુ.(17.5 વિઘા)જમીન થાય છે.જેનું હાલની બજાર કિંમત રૂ.19,74,57,000 (અંકે ઓગણીસ કરોડ ચુમોતર લાખ સત્તાવન હજાર રૂપિયા પુરા)કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવેલ. તેમજ આ ગેરકાયદેસર પાકા બાંધકામ ઘણા સમયથી કરેલ છે તે અંગેની તપાસ કરી,વાર્ષિક બિનખેતીના જંત્રીના 1 ા દરે વસૂલાત કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
દિલ્હીમાં ગાઢ ધુમ્મસ અને ખરાબ હવામાનના કારણે આજે સવારે દિલ્હીથી વડોદરા આવતી એર ઇન્ડિયા અને ઇન્ડિગો એરલાઇન્સની બે ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. જેના કારણે વડોદરાથી દિલ્હી જવા માટે રવાના થનાર મુસાફરો એરપોર્ટ પર અટવાયા છે. આ અંગે મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા અથવા તો તેઓને ટિકિટ રિફંડ કરવામાં આવશે. આજે દિલ્હીથી વડોદરા આવનાર ફ્લાઇટ્સમાં ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ નંબર 6E6694/6695 અને એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI1701/1808 ખરાબ હવામાનના કારણે રદ કરવામાં આવી છે. બંને ફ્લાઇટ્સ દિલ્હીથી ઉડાન ભરી શકી નહીં, જેના કારણે વડોદરા એરપોર્ટ પર મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. એરલાઇન્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ફ્લાઇટમાં આવનાર અને જનાર મુસાફરોને વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા અથવા સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે. આ સાથે દિલ્હી જનાર મુસાફરો વડોદરા કે અમદાવાદથી દિલ્હી જતી અન્ય ફ્લાઇટમાં મોકલવામાં આવશે. ઉત્તર ભારતમાં ચાલી રહેલા ગાઢ ધુમ્મસના કારણે દિલ્હી એરપોર્ટ પર અનેક ફ્લાઇટ્સમાં વિલંબ અને રદ થવાની સ્થિતિ ઊભી થઈ છે. દિલ્હીથી આવનાર ઈન્ડિગોની ફ્લાઇટમાં આવનાર 64 અને વડોદરાથી દિલ્હી જનાર 77 મુસાફરો છે. જ્યારે એર ઈન્ડિયા તરફથી કોઈ યાદી આપવામાં આવી નથી.
અમદાવાદને લગતી 85 ટ્રેનની સ્પીડ વધતાં કુલ 167 ટ્રેનોની અવર-જવરની ટાઈમિંગ બદલાઈ
Railway Update: પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ વિભાગને લાગુ પડતી 85 ટ્રેનની સ્પીડમાં વધારો કરવામાં આવ્યો છે. જેના પગલે પહેલી જાન્યુઆરીથી જુદી જુદી કુલ 167 ટ્રેનના સમયમાં પાંચથી 45 મિનિટ સુધીનો ફેરફાર થશે. રેલવે વિભાગે દાવો કર્યો છે કે, આ ફેરફારના કારણે અમદાવાદ વિભાગના વિવિધ સ્ટેશનને લાગુ પડતી 23 ટ્રેનની મુસાફરીમાં કુલ સમયમાં 5થી 40 મિનિટ સુધીનો ઘટાડો થશે. એટલે મુસાફરોનો કિંમતી સમય બચશે. આ પણ વાંચો:VIDEO : 2025ની 7 સૌથી ભયાનક ઘટનાઓ!
વાપીની બીજી એડિશનલ સેશન્સ કોર્ટે બનાવટી ચલણી નોટ કેસમાં મહત્વનો હુકમ કર્યો છે. કોર્ટે આરોપી ઇજાજ રમઝાન શેખને બે દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ પર સોંપવાનો આદેશ આપ્યો છે, જ્યારે બીજા આરોપી છગનભાઈ દુલાભાઈ વાઘમાશીનીના રિમાન્ડની માંગણી નામંજૂર કરી છે. આ હુકમ જજ એચ. એન. વકીલે કર્યો હતો. કેસની વિગત મુજબ, આરોપી છગનભાઈ વાઘમાશીનીએ 10 ઓક્ટોબર, 2025ના રોજ ભીલાડ HDFC બેંક શાખામાં રૂપિયા 1.50 લાખ જમા કરાવ્યા હતા. બેંક દ્વારા તપાસ કરાતા તેમાંથી રૂપિયા 500ની 43 નોટો બનાવટી હોવાનું સામે આવ્યું હતું. આથી બેંક મેનેજરે ભીલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કરેલી પૂછપરછમાં છગનભાઈએ આ બનાવટી નોટો ઇજાજ રમઝાન શેખ પાસેથી મેળવી હોવાનું જણાવ્યું હતું. આ માહિતીના આધારે પોલીસે 18 ડિસેમ્બર, 2025ના રોજ બંને આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે ઉમરગામના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જે નામંજૂર થઈ હતી. આથી તપાસ અધિકારી પી.આઇ. સચિન પવારે પબ્લિક પ્રોસિક્યુટર અનિલ ત્રિપાઠી મારફતે સેશન્સ કોર્ટમાં રિમાન્ડ રિવિઝન અરજી દાખલ કરી હતી. દલીલો બાદ કોર્ટે આ આંશિક મંજૂરીનો હુકમ કર્યો હતો.
વલસાડ જિલ્લાના ઓવાડા ગામે સરકારી સર્વે નંબર 394 પરથી ગેરકાયદેસર દબાણો હટાવવા માટે વહીવટી તંત્ર દ્વારા મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન સ્થાનિક ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. વલસાડના SDM વિમલ પટેલના જણાવ્યા અનુસાર, ઓવાડા ગામના સરકારી સર્વે નંબર 394 પર ખેતીલાયક અને બિન-ખેતીલાયક બંને પ્રકારના દબાણો જોવા મળ્યા હતા. આ દબાણોમાં આંબાની કલમો અને શેરડીનું વાવેતર કરવામાં આવ્યું હતું. અગાઉ સરકારી માપણી કરીને માપણી શીટ તૈયાર કરવામાં આવી હતી. તેના આધારે, આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. દબાણ હટાવવાની કામગીરી શરૂ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો, ખાસ કરીને મહિલાઓ સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા. તેમણે સૂત્રોચ્ચાર કરીને તંત્રની આ કાર્યવાહીનો ઉગ્ર વિરોધ કર્યો હતો. ગ્રામજનોનો મુખ્ય આક્ષેપ હતો કે આ કાર્યવાહી ગ્રામસભાની મંજૂરી વિના કરવામાં આવી રહી છે. જોકે, SDM વિમલ પટેલે સ્પષ્ટતા કરી હતી કે આ જમીન 'સરકારી પડતર' હોવાથી ગ્રામસભાના ઠરાવની જરૂર રહેતી નથી. SDM વિમલ પટેલે જણાવ્યું હતું કે, અમે હાલમાં તમામ સરકારી સર્વે નંબરોની ચકાસણી કરી રહ્યા છીએ. જ્યાં પણ દબાણ જણાશે ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવશે. ઓવાડામાં થયેલું દબાણ દૂર કરવાની પ્રક્રિયા ચાલુ છે અને સ્થાનિકોને સમજાવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. વધુમાં, નજીકની ખાનગી જમીનમાં આવેલી ક્વોરીના ખાડાનો કેટલોક ભાગ પણ સરકારી જમીનમાં હોવાનું બહાર આવ્યું છે. આ બાબતે મામલતદાર દ્વારા નોટિસ આપી હિયરિંગની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. હાલમાં, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી શાંતિપૂર્ણ રીતે આગળ ધપાવવા માટે તંત્ર પ્રયત્નશીલ છે.
દાહોદ શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ગેરકાયદેસર વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. ગોદી રોડ પર આવેલા એક રહેણાંક મકાનમાંથી પોલીસે રૂ. 43,000/-ની કિંમતની 86 રીલ ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને પોલીસે ગેરકાયદેસર વેચાણ અટકાવવા માટે સતર્કતા વધારી છે. ચોક્કસ બાતમીના આધારે, ગોદી રોડ સ્થિત ગણેશ સોસાયટીમાં જયેશભાઈ ખેમરાજભાઈ ધોબીના રહેણાંક મકાનમાં ઓચિંતી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન, મકાનમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની કુલ 86 રીલ મળી આવી હતી, જેની કુલ કિંમત રૂ. 43000 આંકવામાં આવી છે. પોલીસે તાત્કાલિક ધોરણે સમગ્ર મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાઈનીઝ દોરી અને ચાઈનીઝ તુક્કલના ગેરકાયદેસર વેચાણને રોકવા માટે પોલીસ દ્વારા શહેરમાં સતત ચેકિંગ અને તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહી પોલીસની સતર્કતા દર્શાવે છે. ચાઈનીઝ દોરીના ઉપયોગથી ગળા કપાવા, વાહનચાલકોને ગંભીર ઈજાઓ થવી અને પક્ષીઓના મૃત્યુ જેવા અકસ્માતો અગાઉ નોંધાયા છે. આ જીવલેણ દોરી પર રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં, કેટલાક લોકો નફાની લાલચમાં ગેરકાયદેસર રીતે તેનો સંગ્રહ અને વેચાણ કરે છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દોરીનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ પ્રવૃત્તિમાં અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. દાહોદ શહેરમાં અન્ય વિસ્તારોમાં પણ ચેકિંગ વધુ કડક બનાવવામાં આવ્યું છે. પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ચાઈનીઝ દોરીનું વેચાણ કે ઉપયોગ ન કરે. જો ક્યાંય પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા જણાવાયું છે, જેથી જીવલેણ દોરીથી થતા અકસ્માતોને અટકાવી શકાય.
દાહોદ તાલુકાના છાપરી ખાતે પોલીસે રૂ. 9 કરોડથી વધુના વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો છે. દાહોદ જિલ્લાના ઇતિહાસમાં આટલી મોટી માત્રામાં દારૂનો નાશ કરવાની આ પ્રથમ ઘટના છે. છાપરી વિસ્તારમાં સત્તાવાર પ્રક્રિયા હેઠળ આ દારૂનો જથ્થો નષ્ટ કરવામાં આવ્યો હતો. નાશ કરાયેલો દારૂ દાહોદ એ ડિવિઝન, દાહોદ બી ડિવિઝન, દાહોદ ગ્રામ્ય, કતવારા, ગરબાડા અને જેસાવાડા પોલીસ મથકો દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, દાહોદ અને ગરબાડા ડિવિઝનના અધિકારીઓ તેમજ પ્રાંત અધિકારીની હાજરીમાં કરવામાં આવી હતી. આ દારૂનો જથ્થો છેલ્લા છ મહિનામાં વિવિધ દરોડા અને કાર્યવાહીઓ દરમિયાન પોલીસે ઝડપી પાડ્યો હતો. નષ્ટ કરાયેલા જથ્થામાં અંદાજે 1.60 લાખથી વધુ વિદેશી દારૂની બોટલોનો સમાવેશ થાય છે. તેની કુલ બજાર કિંમત રૂ. 9 કરોડથી વધુ આંકવામાં આવી છે. પોલીસે ગેરકાયદેસર દારૂના વેપાર સામે કડક કાર્યવાહી ચાલુ રાખી છે.
વલસાડ જિલ્લાના વાપીમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી હરિઓમ પ્રભુનારાયણને 20 વર્ષની સખત કેદ અને દંડની સજા ફટકારી છે. આ ઘટના 20 ઓગસ્ટ, 2023 ના રોજ વાપીના બલીઠા ગામે બની હતી. ગામની એક ચાલમાં રહેતી 3 વર્ષની બાળકી તેના ભાઈ સાથે આંગણામાં રમી રહી હતી. બપોરના સમયે બાળકીનો ભાઈ જમવા માટે રૂમમાં ગયો, પરંતુ બાળકી પરત ન આવતા તેની માતાએ શોધખોળ શરૂ કરી. શોધખોળ દરમિયાન, તે જ ચાલમાં રહેતા હરિઓમ પ્રભુનારાયણના રૂમની બહાર બાળકીના ચપ્પલ જોવા મળ્યા. માતાએ રૂમનો દરવાજો ખખડાવ્યો હોવા છતાં આરોપીએ દરવાજો ખોલ્યો ન હતો. થોડીવાર બાદ જ્યારે આરોપીએ બાળકીને બહાર કાઢી, ત્યારે તે લોહીલુહાણ હાલતમાં હતી અને પીડાની ફરિયાદ કરી રહી હતી. બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી હરિઓમ પ્રભુનારાયણની ધરપકડ કરી હતી. વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં આ કેસ ચાલતા, ન્યાયાધીશે આરોપીને દોષિત જાહેર કર્યો. કોર્ટે આરોપીને આઈપીસીની કલમ 376 (એબી) અને પોક્સો એક્ટની કલમ 6 હેઠળ 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, બંને કલમો હેઠળ કુલ રૂપિયા 20 હજારનો દંડ અને બાળકીને થયેલી માનસિક તથા શારીરિક યાતના બદલ રૂપિયા 20 હજારનું વળતર ચૂકવવાનો પણ કોર્ટે આદેશ કર્યો છે.
થર્ટી ફર્સ્ટ નાઇટ અને ન્યુ યર નિમિત્તે એફડીએ એકશન મોડ પર
હોટેલ, રેસ્ટોરાં, રિસોર્ટ અને કલબ હાઉસમાં એફડીએની ટીમ જઇને ખાણાંની ગુણવત્તા ચકાસશ મુંબઇ - થર્ટી ફર્સ્ટ નાઇટની ખાણીપીણી સાથે ધમાકેદાર ઉજવણી કરી નવ વર્ષને વધાવવા માટે શોખીનો સજ્જ થઇ ગયા છે. અને હોટેલ, પબ, બાર અને રિસોર્ટ બુક થઇ ગયા છે. ત્યારે એફડીએ (ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ઓથોરિટી) સત્તાવાળા પણ 'ખાના-ખરાબી'થી અને ભેળસેળિયા ખાદ્યપદાર્થોથી કસ્ટમરોને બચાવવા માટે એકશન મોડ પર આવી ગઇ છે. ન્યુ યરની પાર્ટીઓ લગભગ દસેક દિવસ તો ચાલતી હોય છે.
આગ લાગી:ગાંધીધામ રિલાયન્સ પેટ્રોલપમ્પ પાસે વીજ ડીપીમાં આગ લાગતા દોડધામ
ગાંધીધામના સતત ધમધમતા રોડ પર આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક આવેલી વીજ ડીપીમાં અચાનક ભયાનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી હતી, અગ્નીશમન દળે સમયસર આવી કાબુ મેળવી લેતા_ રાહતનો શ્વાસ લેવાયો હતો. ફાટી ઘટનાસ્થળની બિલકુલ નજીક પેટ્રોલ પંપ આવેલો હોવાથી જો આગ વધુ પ્રસરી હોત તો મોટી દુર્ઘટના બની હોવાની ચર્ચા કરતા લોકોમાં ભય જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા જ સ્થાનિકો અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ત્વરિત સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવતા તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સદભાગ્યે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. આગને પગલે સાવચેતીના ભાગરૂપે આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો થોડા સમય માટે ખોરવાઈ ગયો હતો.
ભોજાય સર્વોદય ટ્રસ્ટ આયોજિત 35મા નવનીત મેગા મેડિકલ કેમ્પને ટીંબડી (હાલાર) ગામના ભારતીબેન બીમલભાઈ શાહ પરિવારે (થિકા-કેન્યા) એમના માવિત્રો દમયંતીબેન શોભાગચંદભાઈની પુણ્યસ્મૃતિમાં પ્રાયોજિત કર્યો હતો. કેમ્પ અંતર્ગત ત્રિદિવસીય સ્ત્રી રોગ શિબિર યોજાઈ હતી. કસ્તુરબેન ડુંગરશી ગાલા નવનીત મહિલા કેન્દ્રને ઉપક્રમે આયોજિત શિબિરમાં 101 મહિલાની એમના પ્રજનન અવયવોના રોગ માટે ડો.બીરેન્દ્ર સિંઘે તપાસણી કરી હતી. જેમાંથી 30 મહિલાને ઓપરેશન માટે પાનબાઇ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. સ્ત્રી રોગ વિશેષજ્ઞ ડો.બીરેન્દ્ર સિંઘ, ડો.મંદાર જાદવ, ડો.શિલ્પા સિંઘ અને ડો.શ્વેતા જોશીએ તમામ દર્દીના સફળ ઓપરેશન કર્યા હતા. ત્રણ દર્દી માટે સાત બોટલ રક્તની આપૂર્તિ જીવન જ્યોત બ્લડ બેંકે કરી હતી. આશાપર ગામના જમનાબેન કોલીના પેટમાંથી ત્રણ કિલોની ગાંઠ કાઢવામાં આવી હતી. દર્દીઓના લોહીનું પરીક્ષણ પેથોલોજીસ્ટ ગિરીશ છેડા તથા લેબ ટેકનીશીયન નીતિન બુચિયા અને શરબાની ચેટરજી, સમગ્ર શિબિરનું સંકલન નવીન મારવાડાએ કર્યું હતું. ઓટી આસિસ્ટન્ટ હરેશ મારવાડા, સંજય બડગા, સાગર મહેશ્વરી, દીપક મોખા હાજર રહ્યા હતા. નર્સ સંગીતા જાદવ, સુનીતા બડગા, નર્મદા માતંગ અને કૃષ્ણા સોલંકીએ ફરજ બજાવી હતી. વોર્ડમાં દર્દીઓની સંભાળ ભાવના મારવાડા અને તરલા ગોસરે રાખી હતી. હિંમત, મૂરજી અને નવીન મહેશ્વરીએ ઈતર ફરજો બજાવી હતી. ઝવેરી ગાલા, હરીશ ગોસરે સ્વયંસેવકની ભૂમિકા અદા કરી હતી. સ્ત્રી રોગ શિબિરને ગામ બાડા હાલે પુનાના મણીબેન પોપટલાલ નંદુ પરિવારે પ્રાયોજિત કરી હતી. આગામી શિબિર જાન્યુઆરીમાં યોજાશે, જેની તારીખ હવે જાહેર થશે.
ખેડૂતોની ચિંતા વધી:કચ્છ જિલ્લામાં આજથી બે દિવસ ભરશિયાળે કમોસમી વરસાદનું સંકટ
ભરશિયાળે કચ્છ સહીત રાજ્યના અમુક જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવમાન વિભાગે ગુજરાતનાં વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરતાં જણાવ્યું છે કે રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે માવઠાની અસર રાજ્યનાં અનેક શહેરોમાં વર્તાશે. આજે 31 ડિસેમ્બરે અને નવા વર્ષની શરૂઆતના પ્રથમ દિવસે જ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. સાથે જ હવામાન વિભાગે જણાવ્યું છે કે કમોસમી વરસાદની સાથે રાજ્યમાં આગામી 48 કલાકમાં ઠંડીનું જોર પણ વધશે. માવઠા બાદ 2 અને ૩ જાન્યુઆરીના કચ્છમાં ઠંડી વધશે. જો કે 4 જાન્યુઆરીથી ઠંડીમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં ઉત્તર ભારતમાં કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે અનેક કચ્છ સહીત રાજ્યમાં થોડું ઠંડીનું જોર વધ્યું છે અને શીત પાવનોને કારણે નાગરિકો ઠૂંઠવાઈ રહ્યા છે, ત્યારે તેની વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ છે. માવઠાની સ્થિતિને ધ્યાને રાખી ખેડૂતોને તેમનો કાપણી કરેલ પાક સલામત સ્થળે ખસેડવા અથવા તાડપત્રીથી ઢાંકી દેવા અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવવાની સૂચના આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન જંતુનાશક દવા કે ખાતરનો ઉપયોગ ટાળવો તેમજ બિયારણના જથ્થાને સુરક્ષિત રાખવો. એ.પી.એમ.સી. માં પણ ખેત પેદાશોને શેડ નીચે રાખવા અને શક્ય હોય તો આ દિવસોમાં વેચાણ અર્થે જણસી લાવવાનું ટાળવા અનુરોધ કરાયો છે. ના. સરોવર–કોટેશ્વરમાં વાદળછાયું વાતાવરણબુધવારના માવઠાની આગાહી વચ્ચે મંગળવારે વહેલી સવારથી અરબસાગર કિનારાના વિસ્તારોમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. સૂર્યનારાયણના દર્શન ન થતા વાતાવરણ ગૂંચવણભર્યું રહ્યું હતું. પવનની ગતિ ઓછી હોવાથી દિવસ દરમિયાન ઠંડીમાં થોડી રાહત રહી, પરંતુ સાંજ પડતા ઠંડકમાં વધારો નોંધાયો હતો. હાલ પ્રવાસનની સિઝન ચાલી રહી હોવાથી નારાયણ સરોવર–કોટેશ્વર વિસ્તારમાં કાચી દુકાનોમાં વેપાર કરતા વેપારીઓ પર ચિંતા વધી છે. કચ્છના શહેરોમાં નોંધાયેલ તાપમાન
ભાસ્કર વિશેષ:ધોળાવીરા પાસે ડ્રોનની મનાઈ, પણ પેરાગ્લાઇડિંગની છૂટ!
ઘડુલી–સાંતલપુર માર્ગ વર્ષો સુધી ફોરેસ્ટ વિભાગની મંજૂરીના અભાવે અટકેલો રહ્યો હતો. અંતે ત્રણ વર્ષ પૂર્વે કેન્દ્ર સરકારે ભલામણ કરતા ભોપાલ સ્થિત જંગલ વિભાગની મુખ્ય કચેરીએથી મંજૂરી મળતા માર્ગનું કામ પૂર્ણ થયું. આ માર્ગ ‘રોડ ટુ હેવન’ તરીકે ઓળખાતા જંગલ ખાતાની જમીનમાંથી પસાર થતો હોવાથી અહીં ખાસ નિયમો અમલમાં મુકાયા છે. રસ્તા પરથી નીચે ઉતરીને ફોટોગ્રાફી કરવી કે ડ્રોન શૂટિંગ કરવા પર સ્પષ્ટ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, જેના સૂચનાત્મક બોર્ડ પણ સ્થળ પર લગાવવામાં આવ્યા છે. મુખ્ય કારણ અહીં આવતા ફ્લેમિંગો સહિતના પ્રવાસી અને સ્થાનિક પક્ષીઓને કોઈપણ પ્રકારનો અવરોધ ન થાય તે છે, જે વાસ્તવમાં જરૂરી પણ છે. આ વચ્ચે ધોળાવીરા નજીક ગત વર્ષે તેમજ ચાલુ વર્ષે પેરાગ્લાઇડિંગ પ્રવૃત્તિ શરૂ કરાતા પ્રકૃતિપ્રેમીઓમાં ચિંતા ફેલાઈ છે. જો નાના ડ્રોનથી પણ પક્ષીઓ ડિસ્ટર્બ થવાના કારણસર પ્રતિબંધ છે, તો પેરાગ્લાઇડિંગ જેવી મોટી અને અવાજવાળી પ્રવૃત્તિ ફ્લેમિંગો માટે સ્થળાંતર કરવામાં કારણભૂત બની શકે તેમ હોવાની લાગણી વ્યક્ત થઈ રહી છે. થોડા દિવસોથી આ પ્રવૃત્તિ શરૂ થતા પ્રશ્ન ઉઠી રહ્યો છે કે આવી મંજૂરી કોણે અને કયા આધાર પર આપી. આ મુદ્દે પૂછપરછ કરતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર કમલેશ ભરવાડે જણાવ્યું હતું કે નિયમો મુજબ જ કાર્યવાહી કરવામાં આવે છે અને કોઈપણ પ્રવૃત્તિ માટે ઉચ્ચ સ્તરની મંજૂરી જરૂરી હોય છે. તેમ છતાં પ્રકૃતિ અને પક્ષીઓના સંરક્ષણને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે અને જો નિયમભંગ થશે તો યોગ્ય પગલાં લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર પ્રતીબંધ છે. તેમ છતાં ઘણા ઇન્ફ્લુએન્સર ડ્રોન ઉડાડી વિડીયો કેપ્ચર કરી સોશિયલ મીડિયામાં અપલોડ પણ કરે છે. ભૂતકાળમાં ફ્લેમિંગો પક્ષીના ડ્રોન વિડીયો બાબતે ફોરેસ્ટ વિભાગ દ્વારા દંડ ફટકારી આ વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર મનાઇ હોવાના બોર્ડ લગાવ્યા હતા, પરંતુ બોર્ડ લગાવવા પૂરતી જ કામગીરી થઇ છે. કારણ કે, ડ્રોન ઉડે છે અને તેના વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ થાય છે. પેરા ગ્લાઇડિંગની પંચાયતની મંજૂરી લેવાઈ નથીપેરા ગ્લાઇડિંગની પ્રવૃત્તિથી ફ્લેમિંગો સ્થળાંતરિત થવા મજબૂત થાય તેવી પરિસ્થિતિ અંગે ધોળાવીરા સરપંચ જીલુભા સોઢાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા થોડા દિવસથી પેરા ગ્લાઇડિંગ થઈ રહ્યું છે. પંચાયતની મંજૂરી લેવાની હોય પરંતુ તે લેવામાં આવી નથી. અન્ય કોઈ મંજૂરી અંગે જાણ ન હોવાનું કહ્યું હતું.
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં લાંબા સમય બાદ રાજ્ય સરકારના પરિપત્રથી બદલી પ્રક્રિયા શરૂ થવાથી કર્મચારી આલમમાં ફફડાટ ફેલાયો છે. એક જ ટેબલ અથવા એક જ વિભાગમાં ત્રણ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા તમામ કેડરના કર્મચારીઓ- અધિકારીઓની બદલી માટે સત્તાવાર કવાયત શરૂ કરાઇ છે. જેનો અમલ કચ્છમાં પણ કરવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. પીજીવીસીએલના એચ.આર વિભાગ દ્વારા ભુજ, રાજકોટ, મોરબી, પોરબંદર, જુનાગઢ, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ અને અમરેલી સહિત તમામ સર્કલ ઓફિસોને પરિપત્ર પાઠવી આ અંગે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. પરિપત્રમાં એવા કર્મચારીઓની વિગતવાર યાદી તૈયાર કરી આઠ દિવસમાં વડી કચેરીને જાણ કરવી અને વૈકલ્પિક ત્રણ સ્થળની પસંગદી કર્મચારીઓને આપવાનું જણાવાયું છે. રાજ્ય સરકાર દ્વારા બે વર્ષ અગાઉ બદલી અંગે પરિપત્ર કરવામાં આવ્યો હતો, પરંતુ તેની અમલવારી ન થતાં હવે અચાનક કાર્યવાહી શરૂ થતા ભુજ, અંજાર, નખત્રાણા, માંડવી, ભચાઉ, ગાંધીધામ સહિત પૂર્વ અને પશ્ચિમ કચ્છના પીજીવીસીએલના એવા કર્મચારીઓમાં વધારે ફફડાટ ફેલાયો છે જેઓ એક જ જગ્યાએ વર્ષોથી ચીપકીને બેઠા છે. અગાઉ પણ પરિપત્ર અમલમાં ન આવી શક્યા હોવાની ચર્ચા વચ્ચે આ વખતની પ્રક્રિયા કેટલી પારદર્શક અને સમયબદ્ધ રહેશે તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે. ખાસ તો એ જોવાનું રહેશે કે કચ્છના પૂર્વ અને પશ્ચિમ વર્તુળમાં સમાન ધોરણે બદલી અમલમાં મૂકી રાજ્ય સરકારના આશય મુજબ પારદર્શિતા અને કાર્યક્ષમતા કેવી રીતે સુનિશ્ચિત થાય છે. પરિપત્રનો અમલ ગંભીરતાપૂર્વક કરવામાં આવશેએચ. આર વિભાગ દ્વારા જાહેર કરેલ પરિપત્ર મુજબ એક જ ટેબલ અથવા એક જ વિભાગમાં 3 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા કર્મચારીઓ- અધિકારીઓની વિગતવાર યાદી તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. વિભાગીય સૂચનાઓનું પાલન કરી 8 દિવસની સમયમર્યાદામાં માહિતી એકત્રિત કરી બદલી પ્રક્રિયાનો ગંભીરતાથી અમલ કરવામાં આવશે. -તપન વોરા, અધિક્ષક ઇજનેર ભુજ
ગંદુ પાણી ભરાતા હાલાકી:નવી મામલતદાર કચેરી સામે ગટર લાઇન તૂટી, મોરમ નાખી માર્ગ બનાવવાની તૈયારી
આઇયા નગર નજીકના વિમાન સર્કલથી લઈને જી.કે. જનરલ હોસ્પિટલ સામે આવેલા મુક્તજીવન સર્કલ સુધીના માર્ગના વિસ્તૃતિકરણનું કામ હાલ ઝડપથી ચાલી રહ્યું છે. આ માર્ગ પર બંને બાજુ અંદાજે ત્રણ-ત્રણ મીટર પહોળાઈ વધારવા માટે ખોદકામ કરવામાં આવ્યું છે. ત્યારબાદ કાંકરી અને મોરમ પાથરીને લેવલિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જોકે, આ કામગીરી દરમિયાન નવી મામલતદાર કચેરીની સામે આવેલી ડ્રેનેજ સિસ્ટમની પાઇપ લાઇન તૂટી જતા આસપાસ ગંદુ પાણી ફેલાઈ ગયું હતું. પ્રશ્ન ઊભો થયો છે કે માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિસ્તૃતિકરણ દરમિયાન થયેલા આવા નુકસાનની તાત્કાલિક અને યોગ્ય મરામત થવી જરૂરી છે. પરંતુ સ્થાનિકોમાં આક્ષેપ છે કે પાઇપ તૂટી ગયો હોવા છતાં તેને રીપેર કરવાને બદલે કોન્ટ્રાક્ટર દ્વારા તેના પર મોરમ નાખી માર્ગનું કામ આગળ વધારવામાં આવી રહ્યું છે. જો તૂટેલી ડ્રેનેજ અથવા પાણીની પાઇપનું સમારકામ હાલ કરવામાં નહીં આવે, તો ભવિષ્યમાં ફરીથી ખાડા ખોદવાની ફરજ પડશે, જેના કારણે સમય અને નાણાં બંને વેડફાશે. 18 રીંગ રોડના વિસ્તૃતિકરણ દરમિયાન ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારની જાહેર સુવિધાને નુકસાન ન થાય તેની ખાસ કાળજી લેવામાં આવે. તૂટેલી પાઇપલાઇન અને ડ્રેનેજની તાત્કાલિક મરામત કરી ત્યારબાદ જ માર્ગ કામ આગળ વધારવામાં આવે, જેથી ભવિષ્યમાં ફરી સમસ્યા ન સર્જાય અને વિકાસ કાર્ય સાચા અર્થમાં ટકાઉ બની રહે.
AI : પરમાણુ હથિયારોની રેસને વધુ ઘાતક બનાવશે
- સમગ્ર પૃથ્વીને નષ્ટ કરી નાખવા સક્ષમ હથિયારો ખરેખર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના આધારે છોડવા કે નહીં તે નક્કી કરવું પડશે - રશિયા અને ચીન ન્યૂક્લિયર વેપન્સ બનાવતા હોવાની બાંગો પોકારીને ટ્રમ્પે પણ અમેરિકાને પરમાણુ હથિયારો બનાવવાની લીલી ઝંડી આપી હતી. મહાસત્તાઓના આ અવિચારી અને આત્યાંતિક પગલાના કારણે વિશ્વમાં ફરીથી પરમાણુ હથિયારોની રેસ શરૂ થઈ ગઈ છે : હાલમાં પણ પૃથ્વી ઉપર એટલા પરમાણુ હથિયારો છે કે અનેક વખત પૃથ્વી નષ્ટ થઈ જાય. તેમાંય હવે ન્યૂક્લિયર હથિયારોની સાથે એઆઈનું સાયુજ્ય સધાયા બાદ સમગ્ર વિશ્વમાં તાંડવ થવાની ભીતી સેવાઈ રહી છે. જાણકારો માને છે કે, દુનિયા એક નવા યુગમાં પ્રવેશી રહી છે જેમાં ન્યૂક્લિયર પાવર ફરી એક વખત મહત્ત્વની ભૂમિકા ભજવશે : તંગ પરિસ્થિતિમાં પણ માણસ ભવિષ્યની પરિસ્થિતિનો વિચાર કરીને નિર્ણય લેતો હોય છે જ્યારે બધું જ એઆઈને ભરોસે છોડી દેવામાં આવશે તો તે પોતાના અલગોરિધમના આધારે નિર્ણયો લેવા લગાશે. વિકટ સ્થિતિમાં અકસ્માતે અણુ મિસાઈલ છોડી દેવાની ઘટનાઓ પણ બની શકે છે જેને નકારી શકાય નહીં.
દીકરીને ટિકિટ નકારાતાં મમ્મીને હાર્ટ એટેક આવ્યો
મીરા-ભાયંદરમાં વિચિત્ર ઘટના.. મુંબઈ - મીરા-ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ દ્વારા શ્રદ્ધા બાને ટિકિટ ન મળ્યા બાદ, તેમની મમ્મી વનિતા બનેને હાર્ટ એટેક આવ્યો છે. તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
ભાસ્કર ખાસ:નવા બનેલા વાવ-થરાદ જિલ્લાના મહેકમને વેગ : કચ્છના 42 મહેસૂલી કર્મચારીઓની સામૂહિક બદલી
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી સુગમતા અને નવા વહીવટી માળખાને કાર્યરત કરવાના હેતુથી એક મહત્વનો આદેશ જારી કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ અસ્તિત્વમાં આવેલા નવરચિત વાવ-થરાદ જિલ્લાના વહીવટી તંત્રને મજબૂત કરવા માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી કર્મચારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં કચ્છ જિલ્લામાંથી સૌથી વધુ 42 કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી છે. સરકારી હુકમ અનુસાર, કચ્છ જિલ્લામાંથી વિવિધ સંવર્ગના 45થી વધુ કર્મચારીઓને વાવ-થરાદ જિલ્લામાં નિમણૂક આપવામાં આવી છે. જેમાં કચ્છ જિલ્લામાં ફરજ બજાવતા 15 જેટલા નાયબ મામલતદારોની બદલી નવા જિલ્લા વાવ-થરાદમાં કરવામાં આવી છે. જયારે મહેસૂલી કારકુન સંવર્ગના 8 કર્મચારીઓને વહીવટી હેતુસર વાવ-થરાદ ખાતે મૂકવામાં આવ્યા છે. સૌથી વધુ 19થી વધુ મહેસૂલી તલાટીઓની બદલી કચ્છ જિલ્લામાંથી નવરચિત જિલ્લામાં કરવામાં આવી છે. મહેસૂલ વિભાગના આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જે કર્મચારીઓ હાલમાં ભારત સરકારના ચૂંટણી પંચની ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન-2026 ની કામગીરીમાં રોકાયેલા છે, તેઓએ આ મહત્વની કામગીરી પૂર્ણ કર્યા બાદ જ નવી જગ્યાએ હાજર થવાનું રહેશે. આ તમામ ફેરબદલીઓ ‘સ્વ-વિનંતી’થી થયેલી ગણવામાં આવશે. વધુમાં હુકમમાં જણાવ્યા અનુસાર જો કોઈ કર્મચારી આ જિલ્લા ફેરબદલી માટે ઈચ્છુક ન હોય, તો તેમણે 2 દિવસની અંદર કારણોસહ મહેસૂલ વિભાગને રિપોર્ટ કરવાનો રહેશે. આ સામૂહિક બદલીઓના કારણે કચ્છના મહેસૂલી તંત્રમાં ઘટની સાથે મોટા પાયે ફેરફાર જોવા મળશે. નાયબ મામલતદાર, કારકુન અને તલાટી સંવર્ગના કર્મચારીઓને નવો જિલ્લો ફાળવાયો ભાસ્કર ઇનસાઇડશિક્ષકો, આરોગ્ય કર્મીઓ બાદ હવે મહેસુલના કર્મચારીઓ વતનની વાટેકચ્છમાં વર્ષોથી શિક્ષકોની ઘટને લઈને થયેલા આંદાલોન બાદ કચ્છ માટે ખાસ શિક્ષકોની ભરતી થઇ હતી. જો કે જેટલા શિક્ષકો આવ્યા તેટલા જ શિક્ષકોએ પોતાના વતનમાં બદલી કરાવી લીધી. તો આરોગ્ય કર્મીઓ પણ કચ્છમાં નિમણુક મેળવી થોડા સમય બાદ પોતાના વતનમાં બદલી કરાવી લેતા હોવાનું જગ જાહેર છે, ત્યારે હવે કચ્છના એક સાથે 42 મહેસુલના કર્મચારીઓએ પણ કચ્છમાંથી બદલી કરાવીને પોતાના અથવા પસંદગીના જિલ્લા વાવ-થરાદમાં બદલી કરાવી છે. એક સાથે થયેલી સામુહિક બદલીના કારણે કચ્છના મહેસુલ વિભાગ મોટી ઘટના કારણે નાગરિકોના મહેસુલી કામમાં વિલંબ થવાની પણ શક્યતા છે.
નવા વર્ષના આગમનને લઇ શાંતિ પૂર્વક ઉજવણી થાય તે માટે પશ્ચિમ કચ્છ પોલીસ એક્શન મોડમાં આવી છે.આજે થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન વિવિધ સ્થળો પર પોલીસની અલગ અલગ ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવશે અને નાશો કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું ઇન્ચાર્જ એસપી ગૌતમ વિવેકાનંદે જણાવ્યું હતું.જેને ધ્યાને લઇ મંગળવાર સાંજથી જ પોલીસ દ્વારા સઘન ચેકિંગ શરૂ કરી દેવાયો છે. આજે વર્ષ 2025 નો છેલ્લો દિવસ છે ત્યારે નવા વર્ષના આગમનની લોકો ઉત્સાહભેર ઉજવણી કરશે.ત્યારે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી વિવિધ સ્થળો પર ચેકિંગ કરવામાં આવશે.થર્ટી ફર્સ્ટની ઉજવણીને ધ્યાને લઇ પોલીસ દ્વારા બ્રેથએનેલાઇઝર સાથે ચેકિંગ કરી નશો કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. નવા વર્ષની ઉજવણી શાંતિ પૂર્વક થાય તે માટે ઇન્ચાર્જ એસપી ગૌતમ વિવેકાનંદે લોકોને અપીલ કરી છે.સાથે સાથે સૂચના પણ આપી છે કે,કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પ્રોહીબીશન ડ્રાઈવ સહીત ટ્રાફિક ડ્રાઈવ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવશે. મંગળવારે શહેરના મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા વાહન ચેકિંગ સહીત ફૂટમાર્ચ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત આજે અલગ અલગ ટીમો શહેરના મુખ્ય માર્ગ સહીત ઉજવણી સ્થળો પર તપાસ કરશે.આ ઉપરાંત સી ટીમ દ્વારા અવાવરું રસ્તાઓ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવશે. લોકો નવા વર્ષની શાંતિ પૂર્વક અને કાયદામાં રહીને ઉજવણી કરે તે માટે અપીલ પણ કરવામાં આવી છે.
ગાંધીધામમાં સિવિલ સર્જન નિમાયા પણ ભુજમાં નહીં:જિલ્લા મથકે 16 મહિનાથી ‘સિવિલ સર્જન’ જ નથી
સરહદી અને વિસ્તારની દ્રષ્ટિએ અતિ મહત્વના જિલ્લાના પાટનગર એવા ભુજમાં છેલ્લા 16 મહિનાથી સિવિલ સર્જનની કાયમી નિમણૂક નથી. હાલ આ મહત્વની જગ્યા ઇન્ચાર્જ વ્યવસ્થાના ભરોસે ચાલી રહી છે, જેના કારણે આરોગ્ય વ્યવસ્થામાં અનેક તકલીફો ઉભી થતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. વળી દુખની વાત તો એ છે કે, કોઈ અધિકારી આ કાંટાળો ચાર્જ લેવા તૈયાર નથી. પરિણામે મહત્વની આરોગ્ય સેવા રામ ભરોસે ચાલે છે. કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતમાં સૌથી મોટો છે. ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ સહિત જિલ્લાના વિવિધ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોની આરોગ્ય સેવાઓનું સંચાલન સિવિલ સર્જનની દેખરેખ હેઠળ આવતું હોય છે. પરંતુ કાયમી સિવિલ સર્જનના અભાવે વિવિધ બાબતોમાં વિલંબ થઈ રહ્યો છે. ખાસ કરીને હાલમાં વિવિધ સરકારી અને ખાનગી ભરતીઓ આવી રહી છે ત્યારે રોજ 50 થી વધારે લોકો ફિટનેશ પ્રમાણપત્ર લેવા માટે આવે છે. આ સિવાય દિવ્યાંગ પ્રમાણપત્ર, હેલ્થ માટે લીકર પરમીટ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ક્લિનિકલ એસ્ટબીલ્સમેન્ટ એક્ટ તળે હોસ્પિટલોની તપાસ સહિતની બાબતે વિલંબ આવી રહ્યો છે જોકે, ઇન્ચાર્જ વ્યવસ્થામાં અરજદારોને હાલાકી ન થતી હોવાનો તંત્રનો દાવો છે. ભુજમાં મંગળવાર અને શુક્રવારે સિવિલ સર્જન આવે છે જ્યારે બાકીના દિવસોમા ગાંધીધામ હોય છે તેના પરથી જ પરિસ્થિતિ સમજી શકાય છે. ગાંધીધામની રામબાગ હોસ્પિટલને જિલ્લા કક્ષાની હોસ્પિટલનો દરજજો મળતાં જ ત્યાં અધિક્ષક અને સિવિલ સર્જનની પોસ્ટ ઊભી કરી ત્યાં કાયમી નિમણુંક આપવામાં આવી છે. માંડવીની હોસ્પિટલના અધિક્ષક મેડિકલ ઓફિસરને સિવિલ સર્જન તરીકે બઢતી આપી ગાંધીધામમાં નિમણૂક આપવામાં આવી છે અને ભુજનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે. નવી ઉભી કરાયેલી ગાંધીધામની સિવિલ સર્જનની પોસ્ટ પર કાયમી નિમણૂક છે, જ્યારે મુખ્ય મથક ભુજમાં હજુ પણ આ જવાબદારી ઇન્ચાર્જ અધિકારીના હવાલે છે. જેના કારણે અરજદારોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓનું કહેવું છે કે મોટા જિલ્લામાં કાયમી સિવિલ સર્જનની ગેરહાજરીથી આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને આયોજન પર અસર પડે છે. જાણકારો માને છે કે સરકાર જો વહેલી તકે ભુજમાં સિવિલ સર્જનની કાયમી નિમણૂક કરે તો જિલ્લાની આરોગ્ય વ્યવસ્થા વધુ સુદૃઢ બની શકે.આ બાબતે કચ્છની નેતાગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. જી.કે.નું સંચાલન અદાણી પાસે છે તેમાં ઉચ્ચ કક્ષાએ ગડમથલ સર્જાઈમુખ્ય સરકારી હોસ્પિટલ સંચાલન માટે અદાણીને અપાઈ છે આ સંકુલમાં સિવિલ સર્જનની ઓફિસ છે. અદાણીમાં ડોકટરો હોવાથી મોટાભાગે અરજદારોને વાંધો આવતો નથી તેવી સરકારમાં છાપ છે પરિણામે સિવિલ સર્જન મુકવામાં આળસ દાખવાઈ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ખાનગી કંપનીના કહેવાતા ‘હસ્તક્ષેપ’ના લીધે કોઈ આ જવાબદારી ઉઠાવવા તૈયાર નથી. મામલો આરોગ્યમંત્રી સુધી પહોચ્યોતાજેતરમાં અરજદારનું કામ અટકતા તેણે સાંસદ પછી આરોગ્યમંત્રીનું ધ્યાન દોર્યું હતું ભુજમાં કાયમી સિવિલ સર્જન નથી તેવું જાણી ખુદ મંત્રી પણ ચોંકી ઉઠ્યા હતા. અરજદારનું કામ થઈ ગયું પરંતુ આ મુદ્દો આરોગ્ય મંત્રી સુધી પહોંચ્યો છે. જે નિમાય તે કચેરીમાં હાજર રહે તે ખાસ જરૂરી છે. કારણ કે હાલ ત્રણ-ત્રણ દિવસ સુધી ‘સાહેબ’ રજામાં છે! માંડવી છે! ગાંધીધામ છે! અમદાવાદ-ગાંધીનગર છે! એવા જવાબ ત્રણેય જગ્યાએથી મળતા હોવાનો આક્ષેપ છે.
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:RTIનું સત્ય શરતો સાથે!
મહિસાગર જિલ્લાના આરોગ્ય વિભાગે માહિતી અધિકાર(આરટીઆઇ)ની મૂળ ભાવનાને બદલતો એવો પ્રયોગ કર્યો છે કે જે ના માત્ર ચોંકાવનારો છે, પરંતુ બંધારણીય અધિકારો પર સીધો હુમલો છે. વિભાગે આરટીઆઇના જવાબમાં આપેલી 2148 પાનાની માહિતીમાં દરેક પાના પર સિક્કા માર્યા છે કે આ જાણકારી માત્ર સૂચના માટે છે, તેને કોઇ પણ કોર્ટ કેસ અથવા કાયદાકીય પુરાવા તરીકે ઉપયોગ કરી શકાશે નહીં. નિષ્ણાતોના મતે આરટીઆઇના કાયદામાં આવી કોઇ પણ શરત રાખવાનો અધિકાર કોઇ વિભાગ પાસે નથી. આ પગલું ના માત્ર કાયદા વિરોધી છે, પરંતુ સરકારી રેકોર્ડને ન્યાયિક પ્રક્રિયાથી છુપાવવાનો પ્રયત્ન પણ માનવામાં આવી રહ્યો છે. આ સત્તાનો દુરુપયોગ... ભાસ્કર ઇનસાઇડનોટિસ, વકીલ, અને ભૂલની કબૂલાતડૉ. સુનિલ પટેલને વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી, ત્યારે તેમણે વકીલ જસવંત બારોટ દ્વારા આરોગ્ય વિભાગને લીગલ નોટિસ મોકલી. આ નોટિસના જવાબમાં આરોગ્ય વિભાગે સ્વીકાર્યું કે તાલુકા સ્તરે પ્રક્રિયામાં ભૂલને કારણે ડૉ. એસ.પી. પટેલનું નામ નોંધાઇ ગયું હતું. વિભાગે પોતાની ભૂલ સ્વીકારી, તેમ છતાં તેમણે RTI માહિતીને કોર્ટમાં પુરાવા તરીકે ઉપયોગ થતો અટકાવાનો પ્રયાસ ચાલુ રાખ્યો. નિયમો શું છે? આરટીઆઇ એક્ટ-2005 મુજબ, RTI હેઠળ આપવામાં આવેલી માહિતી સરકારી રેકોર્ડ છે. તેના પર શરતો લાદવી ગેરકાયદેસર છે. આવા દસ્તાવેજો કોર્ટમાં પુરાવા તરીકે સ્વીકાર્ય છે. કોઈ પણ વિભાગ એવું ના લખી શકે કે તેનો કોર્ટમાં ઉપયોગ કરી શકાય નહીં. આ કેસ ગંભીર કેમ?આ RTIને કાગળ પરની સૂચનામાં બદલવાનો પ્રયત્ન છે. જો આ મોડેલ અપનાવવામાં આવશે તો પારદર્શિતા પૂરી થઇ જશે. વિભાગો માહિતી તો આપશે પરંતુ કાયદાકીય જવાબદારીથી બચી જશે. શું છે મામલો? નસબંદી ઓપરેશનના ઓડિટનું સત્ય છુપાવવાનો ખેલ 1. આરોગ્ય વિભાગમાં પરિવાર કલ્યાણ યોજના હેઠળ નસબંદી ઓપરેશનની નિષ્ફળતાને લઇ ઓડિટ કરાયું હતું. ઓડિટમાં 1992થી સેવા આપી રહ્યા ડોક્ટર સુનિલ પટેલને નોટિસ આપવામાં હતી. 2. ડૉક્ટરે પોતાને નિર્દોષ સાબિત કરવા માટે આરટીઆઇ હેઠળ સંબંધિત દસ્તાવેજો માગ્યા હતા. આરોગ્ય વિભાગે માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. ડૉક્ટરે પ્રથમ અપીલ દાખલ કરી, પછી રાજ્ય માહિતી આયોગમાં બીજી અપીલ દાખલ કરી. 3. માહિતી આયોગે સ્પષ્ટ આદેશ આપ્યો કે માહિતી પૂરી પાડવામાં આવે. આદેશ બાદ વિભાગે 2148 પાનાની માહિતી આપી, પરંતુ દરેક પાના પર એક સિક્કો લગાવી દીધો. જેમાં લખ્યું હતું કે, “આ માહિતીને કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરી શકાશે નહીં.’ 4. આવું એટલે કર્યું કે મહિસાગર આરોગ્ય વિભાગ ખબર પડી ગઇ હતી કે આયોગની સામે માહિતી છુપાવવી હવે શક્ય નથી. જાણકારી પૂરી પાડવી પડશે. આ માહિતી કોર્ટમાં જતી રહેશે તો વિભાગની બેદરકારી છતી થશે. તેથી આ રસ્તો નીકાળાયો. આ પારદર્શિતા નથી પલાયન છેમાહિતી અધિકાર કાયદાનો હેતુ ફક્ત માહિતી પૂરી પાડવાનો નથી, પરંતુ સત્યને જવાબદારી સુધી પહોંચાડવાનો છે. જ્યારે કોઈ વિભાગ માહિતી તો પૂરી પાડે છે પરંતુ દરેક પાના પર એવી શરત રાખે છે કે તેનો કોર્ટમાં પુરાવા તરીકે ઉપયોગ કરી શકાતો નથી, તો આ પારદર્શિતા નથી, પરંતુ પલાયન છે. જો આવી શરતો સત્તાનું મોડલ બની જાય તો RTI માત્ર કાગળ પરની પ્રથા રહી જશે. માહિતી તો મળીજશે, પરંતુ જવાબદારી નહીં. કાયદાનો ડર સમાપ્ત થતાની સાથે જ વહીવટી જવાબદારી પણ સમાપ્ત થઈ જશે. આ મુદ્દો કોઈ એક વિભાગનો નથી, પરંતુ સમગ્ર સિસ્ટમની પરીક્ષા છે. હવે સવાલ એ નથી કે માહિતી અપાય છે કે નહીં. સવાલ એ છે કે સત્યને કોર્ટ સુધી લઇ જવા દેવાશે?
નવા વર્ષ નિમિત્તે ભક્તોની ભીડને પહોંચી વળવા મંદિરોમાં ખાસ વ્યવસ્થા
ઘણાં સુરાલયમાં તો ઘણાં દેવાલયમાં સિદ્ધિવિનાયક, મહાલક્ષ્મી અને મુંબાદેવીમાં દર વખતની જેમ ભારે ધસારાની ધારણા મુંબઇ - નવ વર્ષને વધાવવા માટે ઘણાં લોકો પાર્ટીઓ અને કોકટેલ પાર્ટીઓ યોજી છાકટાં બને છે. જ્યારે બીજી તરફ શ્રદ્ધાળુઓ નવા વર્ષના પહેલાં દિવસની શરૃઆત દેવદર્શનથી કરે છે. એટલે જ ભક્તોની ભીડને પહોંચી વળવા માટે મુંબઇના મહાલક્ષ્મી, મુંબાદેવી અને સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
પોલીસ દ્વારા સઘન ચેકિંગ:થર્ટી ફર્સ્ટને લઈ શહેર પોલીસનું ઠેર-ઠેર ચેકિંગ, 23 પીધેલા પકડાયા
થર્ટી ફર્સ્ટને ધ્યાને લઈ શહેર પોલીસે વિવિધ સ્થળોએ સઘન ચેકિંગની કામગીરી શરૂ કરી હતી. શહેરની 14 ચેકપોસ્ટ સાથે વિવિધ ચાર રસ્તા, મુખ્ય સર્કલો પર 2 હજારથી વધુ પોલીસ કર્મીએ મંગળવાર રાતથી ચેકિંગની કામગીરી શરૂ કરી હતી દારૂની હેરાફેરી, ડ્રિંક એન્ડ ડ્રાઈવને રોકવા પોલીસે મોડી રાત સુધી ચેકિંગ કર્યું હતું. સોમવારની ચેકિંગમાં 23 લોકો દારૂ પીધેલા પકડ્યા હતા. અકોટા, ફતેગંજ, સયાજીગંજ, ગોત્રી, ગોરવા સહિતના વિસ્તારોમાં પોલીસે વાહન ચેકિંગની કામગીરી કરી હતી. કેટલાક વિસ્તારમાં ડ્રોન મારફતે ચેકિંગ કર્યું હતું. હાઇરાઝ બિલ્ડિંગો પર, શંકાસ્પદ વિસ્તારમાં ડ્રોન ઉડાવીને શું પ્રવૃતિ ચાલી રહી છે તેનું ચેકિંગ કરાયું હતું. ત્યારે પોલીસે ખાનગી મળીને 8 હજાર ઉપરાંત સીસીટીવીની મદદથી સમગ્ર શહેરમાં ચાલી રહેલી પોલીસની કામગીરી તેમજ શહેરનું નિરિક્ષણ કર્યું હતું. જ્યારે અવાવરૂ જગ્યામાં કોઈ ગુનો ન બને તે માટે પોલીસે ટોર્ચ, સર્ચ લાઇટ સાથે લઈને ચેકિંગની કામગીરી કરી હતી. થર્ટી ફર્સ્ટ શાંતિપૂર્ણ રીતે ઉજવાય તેને લઈ પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે. સોમવારે દારૂ, વાહન, ફોન મળી 1.05 કરોડની મતા જપ્ત આ 10 સ્થળો ખાતે પાર્ટીઓનું આયોજન બ્રેથ એનેલાઇઝર, એનડીપીએસ કિટ વડે સઘન ચેકિંગ કરાયુંપોલીસ દ્વારા ખાસ મોપેડ પણ ચેકિંગ કરવામાં આવી રહ્યાં છે. કાર, રિક્ષાના ખુણે-ખુણા તપાસાઇ રહ્યાં છે. વાહન ચાલકોને બ્રેથ એનેલાઇઝર દ્વારા ચેક કરવામાં આવ્યા હતા. બીજી બાજુ એસઓજીની ટીમે પણ ડ્રગ્સનો નશો કરીને ફરતા લોકોને પકડવા માટે એનડીપીએસની કિટ વડે ચેકિંગ કર્યું હતું. જિલ્લામાં 10 સ્થળે થર્ટી ફર્સ્ટની પાર્ટી પૂર્વે 100 સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો થર્ટી ફર્સ્ટની ઉજવણી શાંતીપૂર્વક થાય તે માટે જિલ્લા પોલીસે તૈયારીઓ કરી છે. જિલ્લામાં 10 સ્થળે પાર્ટીનું આયોજન થશે. જેમાં સૌથી વધુ વડોદરા તાલુકામાં 5 સ્થળે કાર્યક્રમો થશે. આયોજકોએ જિલ્લા પોલીસ મથકમાંથી પરમીશન મેળવી છે. ઉલ્લેખનિય છે કે, વડોદરા ગ્રામ્ય પોલીસે ફાર્મ હાઉસ, હોટલ, રિસોર્ટ અને કાફે સહિત 250થી વધુ સંચાલકો સાથે મીટીંગ કરીને જરૂરી સુચનાઓ પણ આપી હતી. જિલ્લા પોલીસે 31 ડિસેમ્બર પહેલા જિલ્લાના લીસ્ટેડ બુટલેગરોની ગતિવિધી પર નજર રાખી છે. જ્યારે એક અઠવાડિયામાં 100થી વધુ લોકો સામે દારૂ પીને વાહન ચલાવવું સહિત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. જિલ્લા પોલીસ ક્રોસ પેટ્રોલીંગ પણ કરશે. જેમાં એક પોલીસની ટીમે જે તે વિસ્તારમાં વાહન ચેકીંગ અથવા તો રિસોર્ટ અને ફાર્મ હાઉસમાં ચેકીંગ કર્યું હશે. છતાં બીજી પોલીસની ટીમ તે જ સ્થળે જઈને ચેકીંગ કરશે. જિલ્લા પોલીસ દ્વારા બ્રેથ એનેલાઈઝર દ્વારા વિવિધ ચેકપોસ્ટ પર તપાસ કરવામાં આવશે. જ્યારે મોડી રાત સુધી પોલીસ પેટ્રોલીંગ કરી વાહન ચેકીંગની પણ કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાના વિવિધ પાર્ટી પ્લોટ તેમજ રિસોર્ટમાં પણ કોઈ દારૂ પીને આવ્યું નથી ને તેની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત શંકાસ્પદ સ્થળો પર પણ પોલીસ ચેકીંગ કરશે. 800થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત સાથે ડ્રોનથી પણ ચેકીંગ કરાશે
યાત્રિઓ આપે ધ્યાન:કાલથી વડોદરા મંડળની 23 ટ્રેનો 5થી 15 મિનિટ વહેલી,7 ટ્રેન 12 મિનિટ મોડી થશે
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા આવતીકાલ 1લી જાન્યુઆરીથી 30 ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. જેમાં 23 ટ્રેનને પ્રિપોન કરાતા 5થી 15 મિનિટ નિર્ધારિત સ્ટેશનો પર વહેલી આવશે. જ્યારે 7 ટ્રેન 12 મિનિટ સુધી મોડી આવશે. એકતાનગર-અમદાવાદ જનશતાબ્દી, એકતાનગર સ્ટીમ હેરિટેજ સ્પેશિયલને પ્રિપોન કરવામાં આવી છે. જ્યારે એકતાનગર હઝરતનિઝામુદ્દીન અને એકતાનગરમ મેમૂ પોસ્ટપોન કરાઇ છે. આ ઉપરાંત છાયાપુરી સ્ટેશનની 3 ટ્રેનો પર નિર્ધારિત સમયથી 2 મિનિટ મોડી આવશે. એટલે કે પોસ્ટપોન કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ટ્રેન નિર્ધારિત સ્ટેશનો પર સમયસર આવે તે હેતુથી ટાઇમટેબલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જ્યારે યાત્રીઓની માગણીને ધ્યાનમાં રાખીને અલિરાજપુર-પ્રતાપનગર મેમૂને 15 મિનિટ વહેલા કરવામાં આવી છે. હવે આ ટ્રેન અલિરાજપુર સ્ટેશનથી સાડા પાંચ વાગ્યે ઉપડશે. જે અગાઉ સાંજે 5.15 વાગ્યે ઉપડતી હતી. ટ્રેકના મજબૂતીકરણ બાદ હવે સમયપત્રકમાં ફેરફારપશ્ચિમ રેલવે દ્વારા ટ્રેકનું મજબૂતીકરણ છેલ્લા કેટલાક સમયથી કરવામાં આવી રહ્યું છે. આ મજબૂતીકરણ પાછળ સલામતયાત્રા અને ટ્રેનની ઝડપ વધારવી તે છે. હવે ટ્રેનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે. ભરૂચ-સૂરત મેમૂ, વડોદરા-દહાણુ રોડ સુપર ફાસ્ટ, વડોદરા-સુરત મેમૂ અને ગોધરા-વડોદરા મેમૂ તથા આણંદ વડોદરા મેમૂને પ્રિપોન કરવામાં આવી છે. જેથી તેનો પ્રસ્થાન સમય અને પહોંચવાનો સમય 5 મિનિટ પહોંચશે.
પોલીસ દ્વારા સફળ કાઉન્સેલિંગ:એસએસજીમાં બાળકીને ત્યજનાર માતા-પિતાએ આખરે તેને સ્વીકારી
એસએસજીમાં 27 ડિસેમ્બરે નવજાત બાળકીને ત્યજી ગયેલા માતા-પિતાને રાવપુરા પોલીસે શોધી કાઉન્સેલિંગ કરતાં માતાએ બાળકીને રાખવાની તૈયારી બતાવી હતી. રાવપુરા પોલીસ મુજબ, સીસીટીવી ફુટેજ તપાસતાં માતા પુર્ણાબેન ખંભાવત અને પિતા અશોક ખંભાવત (રહે-ડભોઈ) હોવાનું જાણવા મળ્યું હતું. 27 ડિસેમ્બરે સવારે 8 વાગે દંપતી માંજલપુરના દેવપુષ્પ હોસ્પિટલમાં પ્રસૂતિ માટે આવતા હતા ત્યારે રસ્તામાં જ બાળકીનો જન્મ થઈ ગયો હતો. બાળકી સાથે દેવપુષ્પ હોસ્પિટલ પહોંચતા ડોક્ટરે બાળકીનું વજન ઓછું હોવાથી એસએસજીમાં મોકલી હતી. જોકે બાળકીને એસએસજીમાં જ મુકી દંપતી વતન જશવંતપુરા ગામે ગયા હતાં. જ્યારે પતિ પોતાની પત્નીને વતન છોડી પરત વડોદરા ખાતે આવ્યાં હતાં. પોલીસે પિતાને બોલાવી કાઉન્સેલિંગ કર્યુંરાવપુરા પોલીસે પિતા અશોક ખંભાવતનો સંપર્ક કરીને તેમને એસએસજી હોસ્પિટલ ખાતે બોલાવ્યા હતાં. જ્યાં પિતાએ સમગ્ર હકીકત પોલીસને કહી સંભળાવી હતી. જ્યારે પોલીસે બાળકીના પરિવારનું કાઉન્સેલિંગ કરતા બાળકીના પરિવારજનોએ બાળકીની સારસંભાળ રાખવાની તૈયારી બતાવી હતી.
કરુણ અકસ્માત સર્જાયો:મરણમાંથી પરત ફરી રહેલા તરસાલીના રહીશનું વાહનની અડફેટે મોત નિપજ્યું
તરસાલી બાયપાસ પાસે રહેતો યુવાન શુક્રવારે દાહોદ મરણ પ્રસંગમાં ગયો હતો. બીજા દિવસે તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે હાઈવે પર અજાણ્યા વાહને ટક્કર મારતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. તેઓને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મંગળવારે વહેલી સવારે તેઓનું મોત થયુ હતું. શ્રીજી આંગન સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર સોંલકી દોહોદથી શનિવારે બપોરે 11 વાગે વડોદરા પરત ફર્યા હતા. સાંજે 7 વાગ્યા સુધી ઘરે ન પહોંચતાં તેમનો દીકરો રોહિત પિતાને સતત ફોન કરતો હતો પરંતુ જીતેન્દ્રભાઈ કોલ ઊપાડતા નહોતા. થોડા સમય બાદ મોબાઈલ સ્વીચ ઓફ થઇ ગયો હતો. રવિવારે સવારે રોહિત પિતાને શોધવા હાઈવે પર નિકળ્યો હતો. કપૂરાઈ ચોકડીથી તરસાલી બ્રિજ તરફ જતા દર્શન હોટલ સામે પિતાનું મોપેડ મળ્યું હતું. જ્યાં તપાસમાં જાણવા મળ્યું કે, જીતેન્દ્રભાઈનો શનિવારે સાંજે 7 વાગ્યે અકસ્માત થયો હતો, તેઓને એસએસજી ખસેડાયા છે. જ્યાં જતાં પિતાને માથે ગંભીર ઈજા પહોંચી હોવાથી ઓપરેશન કરાયું હતું. ત્યાર બાદ તેઓનું મોત થયું હતું. દીકરીએ કહ્યું, પિતાએ માતાને 6 વાગ્યે કોલ કર્યો હતો, હું પહોંચું છું, મકાઈના રોટલા બનાવી રાખજોમૃતક જીતેન્દ્રભાઇની દીકરીએ જણાવ્યું હતું કે, શનિવારે મારા પિતા 11 વાગ્યે દાહોદથી નીકળ્યા હતા. જ્યારે 6 વાગ્યે હાલોલ નજીક પહોંચ્યા ત્યારે મારા માતા સાથે તેમની વાત થઈ હતી. તેઓએ જણાવ્યું હતું કે, હું થોડી જ વારમાં ઘરે પહોંચી રહ્યો છું. મકાઈના રોટલા બનાવીને રાખજે. જોકે તે બાદ પિતા સાથે વાત જ નહોતી થઈ શકી. અકસ્માતના કારણે તેઓનો મોબાઈલની ડિસપ્લે તૂટી ગઈ હતી.
31 ડિસે.ની થશે ધમાકેદાર ઉજવણી:31 ડિસેમ્બરે સિટી બનશે ફેસ્ટિવ ઝોન11 જગ્યાએ ડાન્સ-ડિનર સાથે પાર્ટી
31 ડિસેમ્બરના સેલિબ્રેશનને લઇને આ વર્ષે સિટીમાં 11 જગ્યાએ પાર્ટીમાં બરોડીયન્સ હિલોળે ચડશે. જેમાં અનેક થીમ પર પાર્ટીપ્લોટ, કેફે, હોટલમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌથી મોંઘો પાસ ‘ફ્યુઝુન ફેસ્ટ’ પાર્ટીનો છે. જેમાં 5 લોકોના ગ્રુપની પાસની કિંમત 14,999 રૂપિયા જેટલી છે. આ સિવાય વડોદરામાં ‘ઈલેક્ટ્રો ફેસ્ટ NYE, લાસ્ટ ગોલ્ડન નાઈટ’ અને ‘ધ ગેસ્ટબી નાઈટ’ સહિત અનેક સ્થળોએ પાર્ટી યોજાશે. ટોપ-11 પાર્ટી સેલિબ્રેશન હબ ઈલેક્ટ્રો ફેસ્ટ NYE ફયુઝુન ફેસ્ટ લાસ્ટ ગોલ્ડન નાઈટ વાઈલ્ડ વાઈબ ફેસ્ટ ન્યૂ ઈયર પાપારાઝી-2026 બિગેસ્ટ ન્યૂ ઈયર પાર્ટી બ્રેકિંગ ધ સાયલન્સ ધ યુફોરિયા નાઈટ NYE એલેમ્પિક ફેસ્ટિવલ 2026 ધ ગેસ્ટબી નાઈટ ફેમિલી ફેસ્ટ ડીજે નાઈટ કાર્નિવલ
મ.સ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સની ફેકલ્ટી ઇન્ટરનલ ક્વોલિટી અશ્યોરન્સ સેલ તથા ડિસ્ટ્રિક્ટ યુથ એન્ડ કલ્ચરલ એક્ટિવિટીઝ ઑફિસના સહયોગથી કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવિ સંમેલનનું આયોજન ભારત રત્ન સ્વ. અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે કરવામાં આવ્યું હતું. તેઓ માત્ર એક પ્રખર રાજનેતા જ નહીં, પરંતુ સંવેદનશીલ કવિ, દ્રષ્ટાવાન વિચારક અને ઉત્તમ વક્તા હતા. તેમની કાવ્યરચનાઓમાં રાષ્ટ્રપ્રેમ, માનવતાવાદ, લોકશાહી મૂલ્યો તથા ભારતીય સંસ્કૃતિની સુગંધ અનુભવાય છે, જે આજે પણ યુવા પેઢીને વિચાર અને સંવેદનાની નવી દિશા આપે છે. કવિસંમેલનમાં હાજર કવિઓએ ઉત્તમ અને વિચારપ્રેરક કાવ્યરચનાઓ દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. રાષ્ટ્રભાવના, સમાજચિંતા, માનવીય સંવેદના અને સમકાલીન વિષયોને સ્પર્શતી તેમની કવિતાઓને ઉપસ્થિત શ્રોતાઓ તરફથી ઉષ્માભર્યો અને ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો. માણવા લાયક પંક્તિઓ શૈક્ષણિક પરંપરા સાથે સાંસ્કૃતિક સંવેદનાને જોડે આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ યુથ એન્ડ કલ્ચરલ એક્ટિવિટીઝ ઑફિસર કેતુલ મહેરિયા જણાવ્યું કે, યુવા પેઢીમાં સાહિત્ય, કાવ્ય અને રાષ્ટ્રભાવનાનું સંસ્કાર સિંચન થાય તેવા કાર્યક્રમો આજના સમયમાં અત્યંત આવશ્યક છે. આ સાથે ડૉ. રાજેશ કેલકરે જણાવ્યું કે, સ્વ. અટલ બિહારી વાજપેયીજીના વિચારો અને કાવ્ય આજે પણ સમકાલીન છે. આવા કાર્યક્રમો દ્વારા યુનિવર્સિટીની શૈક્ષણિક પરંપરા સાથે સાંસ્કૃતિક સંવેદનાને મજબૂત બનાવવાનો અમારો પ્રયત્ન છે. મ્યૂઝિક, ડાન્સ અને નાટ્યના વિદ્યાર્થીઓને પણ કવિઓની સાથે રહી તેઓની કવિતાઓની વિવિધ રચનાઓના આનંદ માણવા મળે તે જરૂરી છે. પ્રતિષ્ઠિત કવિઓ
સિદ્ધિ:કિક બોક્સિંગમાં અક્ષદા દલવી અને હિયા અમ્રેએ બ્રોન્ઝ મેડલ મેળવ્યા
મ.સ.યુનિવર્સિટીના બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સમાં અભ્યાસ કરતી અક્ષદા અજય દલવીએ ખેલો ઇન્ડિયા અસ્મિતા વુમન્સ કિકબોક્સિંગ લીગ વેસ્ટ ઝોનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. મધ્ય પ્રદેશના ઇંદોર ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં સિનિયર મહિલા +70 કિલો વજન વર્ગમાં ભાગ લઈને અક્ષદાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે બીજી તરફ હિયા અમ્રેએ ખેલો ઈન્ડિયા મહિલા કિકબોક્સિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો.
શેખ બાબુ હત્યાકાંડ:શેખ બાબુ હત્યાકાંડમાં મહિલા સહિત 3 પોલીસ કર્મી હોસ્ટાઇલ,કાર્યવાહીની માગ
દેશભરમાં ચકચાર જગાવનાર શેખ બાબુ હત્યા કાંડમાં સુનાવણી ચાલી રહી રહી છે. જેમાં પોલીસ વિભાગમાં જ ફરજ બજાવતા એક મહિલા સહિતના ત્રણ સાક્ષીઓ નિવેદનથી ફરી ગયા હોવાનું બહાર આવ્યું છે. એમની સામે કડક કાર્યવાહની માંગ કરી છે. પીઆઇ, પીએસઆઇ સહિત 6 સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. સરકારી સાક્ષી ફરી જતા અદાલતે ગંભીર નોંધ લીધી છે. બીજી તરફ પીડિત પરિવારે પણ હોસ્ટાઇલ થયેલા સામે અદાલત અને ખાતાકીય કાર્યવાહી કરવા માગ કરી છે. ફતેગંજ પોલીસ સ્ટેશનના 2021ના ચકચારી કસ્ટોડિયલ ડેથ કેસનો મામલો વડોદરા કોર્ટમાં સુપ્રીમ કોર્ટના આદેશથી ડે-ટુ-ડે ચાલી રહ્યો છે. 62 વર્ષીય શેખબાબુના ભેદી મોત અને લાશના નિકાલની ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી. પીડિત પરિવાર પ્રમાણે આ કેસમાં 30થી વધુ સાક્ષીને તપાસવામાં આવ્યા છે અને 3થી વધુ પંચ હોસ્ટાઈલ જાહેર થયા છે. જેમાં 2 પોલીસ કર્મી છે. 5 વર્ષ અગાઉ ચોરીમાં સંડોવણી હોવાની આશંકા સાથે પોલીસ શેખબાબુને ફતેગંજ પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી અને થર્ડ ડિગ્રી ટોર્ચર કરતા પોલીસ મથકમાં જ મોત નીપજ્યું હતું. બાદમાં હત્યા છૂપાવવા મૃતદેહનો નિકાલ કરી દેવાયો હતો. જે હજી સુધી મળ્યો નથી. શેખ બાબુના પુત્ર સલીમે હાઈકોર્ટમાં હેબિયર્સ કોર્પસ દાખલ કરી હતી. જેના આદેશ બાદ હત્યાનો ગુનો પોલીસે દાખલ કરવો પડ્યો હતો. સાક્ષી પોલીસકર્મી હોવા છતાં ફરી ગયા છે. એમની સામે કાર્યકીય અને ખાતાકીય કાર્યવાહીની માગ મૃતક શેખ બાબુના પુત્રે કરી છે. હત્યાના આરોપી પી.આઈ. અને પીએસઆઈ સહિત આરોપીઓ જેલમાં છે. આ મામલે 120થી વધુ સાક્ષી પૈકી 30ની જુબાની થઈ ચૂકી છે. 90ને તપાસવાના બાકી છે. હોસ્ટાઇલ પોલીસકર્મી સસ્પેન્ડ થઈ શકે છેફતેગંજ પોલીસ મથકમાં જ થયેલી શેખ બાબુ હત્યાની ઘટનાના સાક્ષી પોલીસકર્મી હોય અને હોસ્ટાઇલ થાય એ ગંભીર બાબત છે. પોલીસ વિભાગમાં તપાસ બાદ કસૂરવાર ઠરે તો સસ્પેન્ડ થઈ શકે છે. અદાલત પણ ખોટી જુબાની બદલ કડક કાર્યવાહી કરી શકે છે. > હિતેશ ગુપ્તા, સિનિયર એડવોકેટ પોલીસે જ મારા પિતાની હત્યા કરી હતીઆરોપીમાં તત્કાલિન પીઆઇ, પીએસઆઇ સહિત 6 પોલીસકર્મી આરોપી હોવાથી વગદાર સામે લડવું મુશ્કેલ હતું. મારા પિતાની હત્યાના આરોપીને સજા થાય અને અમને ન્યાય મળે એ માટે હું છેક સુધી લડી લેવા તૈયાર છું. > સલીમ શેખ, મૃતકના પુત્ર
ઇન્ટર્નશિપ:કોમર્સ ફેકલ્ટીનાં 4માંથી 2 હજાર વિદ્યાર્થીઓ જાતે ઇન્ટર્નશિપ માટે કંપનીઓ શોધી લાવ્યા
એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી ગણાતી કોમર્સ ફેકલ્ટીમાં 4 હજાર જેટલા વિદ્યાર્થીઓ ઇન્ટર્નશિપ કરશે. ફેકલ્ટી દ્વારા તમામ વિદ્યાર્થીઓની ઇન્ટર્નશિપ માટે કંપનીઓ, સંસ્થાઓ, એનજીઓનો સંપર્ક કર્યો હતો. જોકે 2 હજાર જેટલા વિદ્યાર્થીઓ પોતાની જાતે જ ઇન્ટર્નશિપ માટે કંપની, કોર્પોરેટ હાઉસ, સંસ્થાઓ શોધીને લાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. વિદ્યાર્થીઓને એનઇપીના નિયમ પ્રમાણે 120 કલાકની ઇન્ટર્નશિપ આપવાની છે. જેમાં રોજના 6 કલાક પ્રમાણે ઇન્ટર્નશિપ મળે તો તેવા સંજોગોમાં 30 દિવસમાં ઇન્ટર્નશિપ પૂરી થાય તેમ છે અને જો રોજના 4 કલાકની ઇન્ટર્નશિપ વિદ્યાર્થીઓ કરે તો 30 દિવસમાં ઇન્ટર્નશિપ પૂરી થાય તેમ છે. છઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ ફરજિયાત છે વિદ્યાર્થીઓ ઇન્ટર્નશિપ કરશે તેના આધારે જ તેમને માર્ક આપવામાં આવશે. કોમર્સ ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ માટે મકરપુરા જીઆઇડીસી, એફજીઆઇ, સીએ ફર્મ, બેન્કીંગ, ઇન્સ્યોરન્સ કંપનીઓ સાથે જોડાણ કરવાની પ્રક્રિયા કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશો દ્વારા કરવામાં આવી છે. ઇન્ટર્નશિપ માટે વિદ્યાર્થીઓ જાતે પણ જે તે કંપનીનો સંપર્ક કરીને કરી શકે છે તેવો વિકલ્પ પણ આપવામાં આવ્યો હતો. જેના ભાગ રૂપે કોમર્સ ફેકલ્ટીના 2 હજાર જેટલા વિદ્યાથીઓએ તો પોતાની જાતે જ ઇન્ટર્નશિપ કરવા માટે વ્યવસ્થા કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે. વિદ્યાર્થીઓએ ભલામણ પત્ર રજૂ કરવાનો છે જેના આધારે ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીઓને પરવાનગી આપવામાં આવશે. 1 જાન્યુઆરી સુધીમાં વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ માટેના ભલામણ પત્રો રજૂ કરી દેવાના છે જેના આધારે તેમની ઇન્ટર્નશિપ શરૂ થઇ જશે. ભાસ્કર નોલેજવિદ્યાર્થીઓનું મેન્ટર શિક્ષક મોનિટરિંગ કરશે કોમર્સ ફેકલ્ટી સત્તાધીશો હજુ સુધી બાકી રહેલા વિદ્યાર્થી માટે ઇન્ટર્નશિપની વ્યવસ્થા કરી રહ્યા છેજે વિદ્યાર્થીઓને જાતે ઇન્ટર્નશિપ કરવા માટે સંસ્થા મળી નથી તેના માટે કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જાન્યુઆરી મહિનામાં 10 દિવસમાં આ વિદ્યાર્થીઓની ઇન્ટર્નશિપ પણ શરૂ કરી દેવામાં આવશે.
દારૂની હેરાફેરી ઝડપાઈ:મુંબઈથી ટ્રાન્સપોર્ટ મારફતે દારૂ વડોદરા મોકલાયો, 19 બોટલ ફૂટતાં ભાંડો ફૂટ્યો
મુંબઈ વસઈથી વડોદરા ખાતે સુરત-અમદાવાદ ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉનમાં દારૂની 653 બોટલ ભરેલાં 7 બોક્સ મોકલનાર અને વડોદરામાં દારૂની ડિલિવરી મેળવનારા સામે કારેલીબાગ પોલીસે ગુનો નોંધ્યો છે. મેનેજરે બોક્સમાંથી દારૂ જેવું પ્રવાહી નીકળતાં કારેલીબાગ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે 7 બોક્સ ખોલાવતા દારૂ મળ્યો હતો. ખાસવાડી સ્મશાન રોડ પર સુરત-અમદાવાદ ટ્રાન્સપોર્ટ પ્રા.લિ. ગોડાઉનના મેનેજર મહમદ ફારૂક ગુલામ રસુલ શેખે 29મીએ કારેલીબાગ પોલીસ મથકમાં તેમના ગોડાઉનમાં વસઈથી આવેલા 7 બોક્સમાં દારૂ હોવાનું કહ્યું હતું. પોલીસે પૂછતાં મેનેજરે કહ્યું કે, વસઈ બ્રાંચમાંથી હેડ લાઈટ બલ્બ ભરેલાં 7 કાર્ટુન સુરતની સારોલી બ્રાંચમાં ઉતાર્યાં હતાં. ત્યાંથી વડોદરા પહોંચ્યાં હતાં. જેમાંથી દારૂની ગંધ આવતી હતી. પોલીસે બિલ્ટી તપાસતાં બોક્સ ન્યૂ મોડર્ન ટુલ્સ દ્વારા વડોદરાના રુદ્ર હાર્ડવેરને મોકલ્યાં હતાં. નોંધનીય છે કે, બોક્સમાંથી 19 બોટલો ફૂટી ગઈ હતી, જેને પગલે દારૂ ઢોળાતાં ગંધ મારતી હતી. ભાસ્કર નોલેજ
ભાગવદ્ સપ્તાહમાં નંદ મહોત્સવ ઊજવાયો:વધુ વિલાસી અને ક્રોધવાળા પાસે લક્ષ્મી ન ટકે : હરિરાયજી મહોદય
શહેરના વાઘોડિયા રોડ ખાતે ગોપાલભાઈ રોકડવાલા પરિવાર દ્વારા ચાલી રહેલ શ્રીમદ્ ભાગવત કથામાં વામન અવતાર, રામા અવતાર, ક્રિષ્ના અવતાર, નંદ મહોત્સવ ઉજવાયો હતો. શ્રીમદ્ ભાગવતજીનું રસપાન કરાવતા હરિરાયજી મહોદયએ જણાવ્યું કે, પ્રભુ દૃષ્ટિથી મનના મનોરથ પૂર્ણ કરે છે. ગોપીઓ વેદની ઋચા કહેવાય અહમતા મમતા છોડો, વધુ વિલાસી પાસે લક્ષ્મી ન ટકે ક્રોધવાળા પાસે પણ લક્ષ્મી ના ટકે, પ્રેમ ન કરે તેની પાસે પણ લક્ષ્મી ન ટકે, સારું કાર્ય કરવા જાવ તો કઠિનતા પડે, કઠિનતા એ ઝેર છે. નંદ મહોત્સવમાં કીર્તનકારો નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના જય ઘોષ સાથે ગોકુળમાં પ્રભુનો જન્મોત્સવ કરાવ્યો હતો. વાસુદેવ પ્રભુને મથુરાથી ટોપલામાં બિરાજમાન કરીને ગોકુળ લઈ જતા હોય તેવું ગોકુળમય વાતાવરણ જોવા મળ્યું હતું.
ગ્લોબલ હિન્દુ -વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં જગદગુરુ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી રચિત પુષ્ટિમાર્ગના કૃપાપાત્ર 84 વૈષ્ણવોની વાર્તાના દરેક 84 વૈષ્ણવોના જીવન ચરિત્ર તેમની સેવા પ્રણાલી તથા ઠાકોરજી પ્રત્યે તેમના પ્રેમભાવના વાર્તાજીનું અંગ્રેજી ભાષામાં બુકનું વીવાયઓ ઇન્ટરનેશનલના સ્થાપક વ્રજરાજકુમારજી મહોદયના હસ્તે વિમોચન કરાયું હતું. આ 84 વૈષ્ણની વાર્તાનું અંગ્રેજીમાં ભાષાંતર ડો. વિજયભાઈ ઝવેરી અને ડો. બકુલભાઈ દલાલે કર્યું હતું. આ પ્રેરણા મહોત્સવના અંતિમ દિવસે મહા મહોત્સવના સમાપન સમયે વ્રજરાજકુમારજી મહોદયની ઉપસ્થિતિમાં વિશ્વ પ્રસિદ્ધ ગાયક ભૂમિબેન ત્રિવેદી અને અંકિતભાઈ ત્રિવેદીની ભજન સંધ્યા, રાસ ગરબામાં કથા મંડપ પણ નાનો પડે એટલી વિશાળ સંખ્યામાં હજારો વૈષ્ણવોએ હાજર રહીને શ્રીકૃષ્ણની લીલાના સંગીત અને મધુર ગાયન સાથે મોડી રાત સુધી દરેક સૂર સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા.
અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ ખાતે 28 ડિસેમ્બરે યુવા બિઝનેસ મહાસંમેલન યોજાયું હતું. તેમાં વડોદરા અને વડોદરા જિલ્લામાંથી લગભગ 4 હજાર યુવાનોએ આ સંમેલનમાં ભાગ લીધો હતો. વિશ્વ ઉમિયાધામ કેન્દ્રીય ગૃહ મંત્રીની ઉપસ્થિતિમાં 20 હજાર પાટીદાર યુવાનોએ આત્મનિર્ભર ભારતના સંકલ્પ લીધા હતા. વિશ્વ ઉમિયાધામમાં સમાજ-શિક્ષણ-અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિનો સમન્વય થયાનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા સમસ્ત પાટીદાર સમાજના યુવા બિઝનેસ મહાસંમેલનનું આયોજન કરાયું હતું. પાટીદાર સમાજના યુવા ઉદ્યોગ સાહસિકો માટે બનાવવામાં આવેલી એપ્લિકેશનનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે લોન્ચિંગ કરાયું હતું. આ એપ્લિકેશનમાં 1 લાખ યુવા ઉદ્યોગ સાહસિકો જોડાશે. આ સાથે જ 20 હજાર પાટીદારો યુવા ઉદ્યોગ સાહસિકોએ આત્મનિર્ભર ભારતનો સંકલ્પ લઈ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો. પાટીદાર સમાજના 2500 નાના વેપારીઓને બેંક ફોર બિઝનેસથી લાભ થશે. વડોદરા સહિત અન્ય શહેરોમાં 100 ઉદ્યોગ સાહસિકોની બેંક ફોર બિઝનેસ બનશે, જે મોટા બિઝનેસમેન નાના બિઝનેસમેનના વ્યવસાયને આગળ ધપાવવા માટે મદદરૂપ બનશે મેક ઇન ઇન્ડિયા દ્વારા 10 વર્ષમાં 2 લાખથી 600 કરોડનો બિઝનેસ ડેવલપ કર્યોસમાજ દ્વારા સૌરાષ્ટના કપડાના વેપારી વિપુલ પટેલની મેક ઇન ઇન્ડિયા સ્ટોરી સમાજ સમક્ષ મૂકી. મેક ઇન ઇન્ડિયા અપનાવવા પ્રોત્સાહિત કર્યાં હતા. વિપુલભાઇએ 10 વર્ષમાં એક્સપોર્ટ અને 600 કરોડનું ટનઓવર કર્યું. આ કોન્સેપ્ટ વડોદરાના વેપારી પણ અપનાવશે. સ્ટાર્ટઅપ વાળાને મદદ કરીશું
વેધર રિપોર્ટ:આજે અને કાલે વાદળ છવાશે, શુક્રવારથી ઠંડીની તીવ્રતા વધશે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે શહેરમાં 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. 2 જાન્યુઆરીએ ઠંડીની તીવ્રતા વધવાની સંભાવના છે. 30મીએ શહેરમાં ઠંડીનો પારો 1.4 ડિગ્રી વધીને 15 ડિગ્રી નોંધાયો હતો. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ઉત્તર ભારત પરથી પસાર થઈ રહેલા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત સુધી લંબાવાની શક્યતા છે. 30 ડિસેમ્બરથી વાતાવરણમાં પલટો આવશે અને વાદળ છવાશે. 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ રાજ્યમાં છૂટાછવાયાં વરસાદી ઝાપટાં પડી શકે છે. જોકે વડોદરામાં તેની અસર વર્તાશે નહીં. શહેરમાં મંગળવારે મહત્તમ તાપમાનનો પારો 30.6 ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો 15 ડિગ્રી નોંધાયો હતો. ભેજનું પ્રમાણ સવારે 84 ટકા અને સાંજે 45 ટકા નોંધાયું હતું. જ્યારે નોર્થ-વેસ્ટની દિશાથી 3 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા. 15મી જાન્યુઆરી સુધી ઠંડીની તીવ્રતા જળવાઈ રહેશે2 જાન્યુઆરી બાદ ઠંડી વધવાની સંભાવના છે. જેમાં લઘુતમ પારો 4 ડિગ્રી ઘટી 10 થી 11 ડિગ્રી થવાની સંભાવના છે. જાન્યુઆરીમાં પ્રબળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યાં હોવાથી ઠંડી વધશે. જેને કારણે ડિસેમ્બરમાં ન અનુભવાયેલી ઠંડી જાન્યુઆરીમાં અનુભવાશે. 15 જાન્યુઆરી સુધી ઠંડીની તીવ્રતા જળવાઈ રહેશે. > મુકેશ પાઠક, હવામાન શાસ્ત્રી
કાર ભડકે બળી:કારમાં સીટ નીચેનો બોલ્ટ ખોલવા માટે વેલ્ડિંગ કરતાં તણખાથી આગ
તરસાલીમાં મંગળવારે બપોરે કારમાં આગ લાગી હતી. આ અંગે જાણ કરાતાં સ્થળ પર પહોંચેલા ફાયરબ્રિગેડના લાશ્કરોએ આગ બુઝાવી હતી. તરસાલી બાયપાસ નજીકના સિદ્ધેશ્વરી હેપી હેરિટેજમાં ઓટોમોબાઇલ ગેરેજ છે. તેની બહાર કારની સીટ નીચેનો સ્ક્રૂ ખૂલી રહ્યો ન હતો. દરમિયાન ગેરેજના મિકેનિકે વેલ્ડિંગથી સ્ક્રૂને ગરમ કરી ખોલવા પ્રયાસ કર્યો હતો. વેલ્ડિંગના તણખા કારની સીટ સહિતના ફોમ પર ઊડતાં આગની ઝાળ લાગી હતી અને કાર અંદરના ભાગેથી ભડભડ સળગવા માંડી હતી. આગ લાગતાં ગેરેજની આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. તેમણે ફાયર એક્સટિંગ્વિશર્સથી આગ ઓલવવા પ્રયાસ કર્યો હતો. દરમિયાન ફાયરબ્રિગેડને જાણ કરાતાં લાશ્કરોએ આગ બુઝાવી હતી. ભાસ્કર નોલેજદરેક કારની સ્ટાર એલન કી જુદી હોવાથી સમસ્યાઓટોમોબાઇલ એક્સપર્ટ મનોજ ઠાકર રહે છે કે, કારની સીટ નીચેના બોલ્ટ લાંબો સમય ખૂલતા ન હોવાથી જામ થઇ જાય છે. યુરોપિયન મોડેલની કારોમાં બોલ્ટ ખોલવાની સ્ટાર એલન કી વિશેષ હોય છે. જો તે ન હોય કે ખાંચા વળી ગયા હોય તો વેલ્ડિંગ કરી ખોલવા પડે છે.
રાજ્યમાં ભાગીને કરાતા લગ્નના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લગ્ન નોંધણીના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવાનો નિર્ણય આજે લઈ શકે છે. નવા પ્રસ્તાવ મુજબ હવે ભાગેડુ લગ્નની નોંધણી સીધી રીતે નહીં થઈ શકે અને તે માટે વર્ગ-2 અધિકારીની પૂર્વ મંજૂરી ફરજિયાત લેવાની જાહેરાત થઈ શકે છે. એટલે કે તલાટી મંત્રી જેવા વર્ગ 3ની લગ્ન નોંધણીની જવાબદારી છીનવાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પાટીદાર સમાજ દ્વારા આ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ધ્યાન દોરવામાં આવતાં જે-તે સમયે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે 'લવમેરેજ માટે માતાપિતાની સહી ફરજિયાત કરવા માટે જરૂરી અભ્યાસ કરીને નિર્ણય લેવામાં આવશે. બંધારણ ન નડે એ રીતે દીકરીઓનાં પ્રેમલગ્ન બાબતે કોઈ ચોક્કસ વ્યવસ્થા કરીશું'. માતા-પિતાએ 30 દિવસની અંદર લેખિત જવાબ આપવો પડી શકે છેપ્રસ્તાવિત નિયમો અનુસાર વર્ગ-2 અધિકારીની મંજૂરી વિના ભાગેડુ લગ્નની નોંધણી કરી શકાશે નહીં. ઉપરાંત આવા કિસ્સાઓમાં યુવક-યુવતીના માતા-પિતાને પણ સત્તાવાર નોટિસ મોકલવામાં આવી શકે છે. નોટિસ મળ્યા બાદ માતા-પિતાએ 30 દિવસની અંદર પોતાનો લેખિત જવાબ આપવો ફરજિયાત કરવામાં આવી શકે છે. આજે પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ સત્તાવાર જાહેરાત થઈ શકે છેસરકારનો ઉદ્દેશ્ય નાબાલિક લગ્ન, દબાણ હેઠળ થતા લગ્ન અને પરિવારની જાણ વગર થતી નોંધણી પર રોક લગાવવાનો છે. આજે યોજાનારી કેબિનેટ બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ તેના અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. નવા નિયમો અમલમાં આવ્યા બાદ રાજ્યમાં ભાગેડુ લગ્નની નોંધણી પ્રક્રિયા વધુ કડક અને પારદર્શક બને તેવી શકયતા છે. પ્રેમલગ્નની નોંધણી સમયે માતાપિતાની સહમતી ફરજિયાત કરવાની માગગુજરાતમાં પાટીદાર, ઠાકોર સમાજ સહિતના આગેવાનો લાંબા સમયથી પ્રેમલગ્નની નોંધણી સમયે માતાપિતાની સહી ફરજિયાત કરવાની માગ કરી રહ્યા છે. એસપીજીના લાલજી પટેલ તો અલગ અલગ જગ્યાએ સંમેલન યોજી આ માગને બુલંદ બનાવી રહ્યા છે. ચાર મહિના પહેલાં આ માગણીને લઈ મહેસાણામાં યોજાયેલી એક જનક્રાંતિ મહારેલીમાં પાટીદાર સમાજના આગેવાને કહ્યું હતું કે પ્રેમલગ્ન કરનારી દીકરીને મિલકતમાંથી બેદખલ કરવામાં આવે. આ પણ વાંચોપૂર્વ મંત્રી વલ્લભ કાકડિયાની સરકારને રજૂઆત:સંતાનોના લગ્ન માટે માતા-પિતાની સંમતિ ફરજિયાક કરવા હિન્દુ મેરેજ એક્ટમાં સુધારો કરવાની માગપૂર્વ મંત્રી વલ્લભ કાકડિયાએ સંતાનોના લગ્ન પહેલા માતા-પિતા અથવા વાલીની લેખિત સંમતિ ફરજિયાત બનાવવાની માગ સાથે હિન્દુ મેરેજ એક્ટમાં જરૂરી સુધારા કરવા બાબતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી છે. વલ્લભ કાકડિયા લાંબા સમયથી સામાજિક મુદ્દાઓ પર અવાજ ઉઠાવતા આગેવાન તરીકે ઓળખાય છે અને પરિવાર તથા સમાજને અસર કરતી સમસ્યાઓ અંગે સરકારનું ધ્યાન દોરતા રહ્યા છે.(વાંચો સંપૂર્ણ સમાચાર) આ પણ વાંચોતલાટી વર્ષમાં 2000 લગ્ન કરાવી 50 લાખ કમાયો,:પંચમહાલનું કણજીપાણી ગામ 'બોગસ લગ્ન નોંધણી'નું એપી સેન્ટર, લાલજી પટેલનો દાવો એક જ યુવતીની 3 કલાકમાં 4 શહેરોમાં હાજરીરાજ્યમાં પ્રેમ લગ્ન અને ભાગીને લગ્ન કરવાના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે, જેને લઈને છેલ્લા ત્રણ વર્ષથી લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવાની માગ કરતા સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે એક મોટો ઘટસ્ફોટ કર્યો છે. મહેસાણામાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી તેમણે જમાવ્યું હતું કે, પંચમહાલનું કણજીપાણી ગામ બોગસ લગ્ન નોંધણીનું એપી સેન્ટર છે. આ ગામના તલાટીએ એક વર્ષમાં 2 હજાર લગ્ન કરાવી 50 લાખની કમાણી કરી હોવાનો વીડિયો પણ અમારી પાસે છે.(વાંચો સંપૂર્ણ સમાચાર) આ પણ વાંચોપ્રેમલગ્ન-મૈત્રી કરારના કાયદામાં ફેરફારની માગ:વિજાપુરમાં 'પાસ'ની ટીમે 50થી દીકરીઓને માતા-પિતાની મરજી મુજબ લગ્ન કરવાની પ્રતિજ્ઞા લેવડાવીગુજરાતમાં પ્રેમલગ્ન અને મૈત્રી કરારના કાયદામાં ફેરફાર કરવાની લાંબા સમયથી ચાલી રહેલી માગ વધુ ઉગ્ર બની છે. સમગ્ર રાજ્યમાં રેલીઓનું આયોજન કર્યા બાદ, હવે જૂની પાસ (PAAS)ની ટીમ દ્વારા ગામડે-ગામડે જઈને દીકરીઓને શપથ લેવડાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં તેઓ માતા-પિતાની મરજી મુજબ જ લગ્ન કરવાની પ્રતિજ્ઞા લેશે.(વાંચો સંપૂર્ણ સમાચાર) આ પણ વાંચો'છોકરી પ્રેમલગ્ન કરે તો માતા-પિતાની મિલકતમાંથી બેદખલ કરો':પાટીદાર આગેવાનનું નિવેદન, મહેસાણામાં પ્રેમલગ્નના કાયદામાં ફેરફારની માગ સાથે જન ક્રાંતિ મહારેલીપ્રેમલગ્ન નોંધણીના કાયદાઓમાં ફેરફારની માગ સાથે મહેસાણામાં આજે (30 ઓગસ્ટે) એક જન ક્રાંતિ મહારેલી નીકળી હતી. આ રેલીમાં મહેસાણા જિલ્લાના વિવિધ રાજકીય પક્ષોના અને સમાજના અગ્રણીઓ જોડાયા હતા. આ દરમિયાન પાટીદાર આગેવાન સતીષ પટેલે કહ્યું હતું કે પ્રેમલગ્ન કરનારી દીકરીને મિલકતમાંથી બેદખલ કરો.(વાંચો સંપૂર્ણ સમાચાર)
2025ના વર્ષને પૂર્ણ થવામાં હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે 2025ને બાયબાય કરવા અને 2026ને વેલકમ કરવા યુવા હૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોની હોટલોમાં અને પાર્ટી પ્લોટમાં ન્યૂ યરની પાર્ટીનું આયોજન કરાયું છે. લોકો શાંતિથી નવા વર્ષને આવકારી શકે તે માટે ચાર મહાનગરોમાં પોલીસ અને વહીવટીતંત્રએ ખાસ એકશન પ્લાન તૈયાર કર્યો છે. અમદાવાદ, સુરત અને વડોદરામાં જે રસ્તાઓ પર થર્ટી ફર્સ્ટની રાત્રે માનવ મહેરામણ ઉમટી પડે છે તે રસ્તાઓ પર વાહનો પર પ્રતિબંધ મૂકી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા છે. થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે નશો કરનારાઓનો નશો ઉતારવાની પણ પોલીસે તૈયારી કરી લીધી છે. બ્રેથ એનેલાઈઝરથી કડક ચેકિંગ કરાશે. રોમિયોને પાઠ ભણાવવા શી ટીમ સિવિલ ડ્રેસમાં પાર્ટીઓ અને ભીડવાળી જગ્યા પર તહેનાત રહેશે. અમદાવાદનો SBR અને CG રોડ સેલિબ્રેશન માટે તૈયારઅમદાવાદ શહેરમાં દર વર્ષે થર્ટી ફર્સ્ટના સેલિબ્રેશન માટે હજારોની સંખ્યામાં લોકો સિંધુભવન રોડ અને સી.જી. રોડ પર ઉમટી પડતા હોય છે. ત્યારે અમદાવાદ પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા પહેલાથી જ આ બંને રસ્તાઓ પર થનારી ઉજવણીને લઈ તૈયારી કરી લીધી છે. વાહનો અને પાર્કિંગને લઈ જાહેરનામું બહાર પાડી પ્રતિબંધિત અને વૈકલ્પિક રૂટ જાહેર કરાયા છે. વડોદરામાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈ તંત્રની તૈયારી31 ડિસેમ્બરની ઉજવણીને લઈને વડોદરા શહેરમાં મોટી સંખ્યામાં લોકો નવા વર્ષની ઉજવણી કરવા રસ્તાઓ પર એકત્ર થાય છે. ખાસ કરીને ફતેગંજ સદરબજાર વિસ્તાર, સયાજીગંજ, સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા સર્કલ (ડેરીડેન સર્કલ), અલકાપુરી રોડ, ચકલી સર્કલ તથા શહેરના અન્ય વિસ્તારોમાં લોકો રોશની કરીને એકબીજાને શુભેચ્છાઓ પાઠવીને અને ઉત્સવ મનાવીને નવા વર્ષનું સ્વાગત કરે છે. આ ઉજવણી દરમિયાન વાહનચાલકોને અડચણ ન પડે, ટ્રાફિકનું સુચારુ સંચાલન થાય અને જાહેર જનતાની સલામતી જળવાઈ રહે તે હેતુથી વડોદરા શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. સુરતમાં 7000 પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશેવર્ષ 2025ના અંતિમ દિવસોમાં જ્યારે આખું શહેર નવા વર્ષની ઉજવણીના થનગનાટમાં છે, ત્યારે સુરત પોલીસ વિભાગે સુરતીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે એક સુરક્ષા ચક્ર તૈયાર કર્યું છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સ્પષ્ટ કર્યું છે કે, ઉજવણીનો આનંદ લો, પણ કાયદાની મર્યાદામાં રહીને. પોલીસ આ વખતે અત્યાધુનિક ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સના સમન્વયથી સુરતને સુરક્ષિત રાખવા માટે સજ્જ થઈ છે. રાજકોટમાં રાત્રે માત્ર 35 મિનિટ જ ફટાકડા ફોડી શકાશેથર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈ રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે. જાહેર જગ્યા અને રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે. નવા વર્ષને આવકારવા માટે લોકો રાત્રે 11:55 થી 12:30 સુધી ફટાકડા ફોડી શકશે.31 ડિસેમ્બરની રાત્રે 8 વાગ્યાથી પોલીસ દ્રારા તમામ જગ્યા પર પેટ્રોલીંગ શરૂ કરવામાં આવશે તેમજ કેટલાક મહત્વના ચોક પાસે વાહન ચેકીંગ પણ કરવામાં આવશે અને નશો કરી નીકળતા વાહન ચાલકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે. વિવિધ શહેરોમાં થર્ટી ફર્સ્ટ પાર્ટીના આયોજન અને પાસની કિંમત
ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની નવી ટીમની જાહેરાત થઈ ચૂકી છે. હોદ્દેદારોએ પોતાનો હોદ્દો સંભાળી કામગીરી શરૂ પણ કરી દીધી છે. પ્રદેશ ભાજપની ટીમમાં યુવા ચહેરાઓ સાથે અનુભવી અને સિનિયર નેતાઓ મૂકવામાં આવ્યા છે. ટીમ જગદીશ વિશ્વકર્માની જાહેરાતમાં અનેક ચોંકાવનારા નામો સામે આવ્યા છે. જે નેતાને છેલ્લા કેટલાય સમયથી સાઇડલાઈન કર્યા હતા તેને ફરીથી સંગઠનમાં સ્થાન આપવામાં આવ્યું છે. ખાસ કરીને ભાજપ સંગઠનમાં મહામંત્રીનું ખૂબ મહત્વનું સ્થાન હોય છે જેમાં ચોકાવનારા નામ તરીકે ડો. પ્રશાંત કોરાટની પસંદગી કરીને સૌરાષ્ટ્રના એક કદાવર નેતાને મેસેજ અપાયાની ચર્ચા છે, તો ઝંખના પટેલની શોકિંગ એન્ટ્રીએ લોકોને ચોંકાવ્યા છે. તો ક્યાકં એક વ્યક્તિ એક હોદ્દાનો છેદ પણ ઉડી ગયો છે. તો આવો ટીમ વિશ્વકર્માનું 360 ડિગ્રી એનાલિસિસ કરીએ..... સંગઠનમાં સૌથી મહત્વનું પદ એટલે મહામંત્રીસૂત્રો મુજબ ગુજરાત ભાજપ સંગઠનની ટીમમાં સૌથી મહત્વના પદ તરીકે મહામંત્રીનું પદ આપવામાં આવતું હોય છે. પ્રદેશ પ્રમુખ ડાયરેક્ટ સંગઠનના મહામંત્રીને જવાબદારી સોંપતા હોય છે. ભાજપના તમામ કાર્યક્રમોથી લઈને બેઠકો અને સંગઠનની સીધી દેખરેખ મહામંત્રીઓ રાખતા હોય છે. પાર્ટીના તમામ નિર્ણયોથી લઈને સંચાલનની સીધી જવાબદારી મહામંત્રીને આપવામાં આવે છે. જેથી કહી શકાય કે પ્રદેશ સંગઠનમાં પ્રમુખનું અડધું અંગ એટલે મહામંત્રી કહેવામાં આવે છે. સૌરાષ્ટ્ર-કચ્છના 3 અને મધ્ય ગુજરાતના 1 નેતાની પસંદગીગુજરાત ભાજપ સંગઠનની ટીમમાં મહામંત્રી પદની વાત કરીએ તો ચાર મહામંત્રી મૂકવામાં આવ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છથી 3 અને મધ્ય ગુજરાતથી 1 નેતાની પસંદગી કરવામાં આવી છે. લેઉવા પાટીદાર અને રાજકીય વારસોગુજરાત ભાજપના યુવા મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી ચૂકેલા સૌરાષ્ટ્રના નેતા એવા ડો. પ્રશાંત કોરાટને મહામંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. જેની પાછળનું કારણ સૌરાષ્ટ્રનો લેઉવા પાટીદાર સમાજનો યુવા ચહેરો અને એક રાજકીય વારસો હોવાનું માનવામાં આવે છે. પ્રશાંતની પસંદગી, સૌરાષ્ટ્રના કદાવર નેતાને મેસેજપ્રશાંત કોરાટના પિતા સવજીભાઈ કોરાટ અને તેમના માતા જશુમતીબેન કોરાટ બંને મંત્રી રહી ચૂક્યા છે. જોકે પ્રશાંત કોરાટને યુવા ચહેરા તરીકે સ્થાન આપીને તેમને પાર્ટીમાં કામ કરવાની મોટી તક આપવામાં આવી છે. જેની પાછળનું એક કારણ સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટા થતા કેટલાક કદાવર નેતાને મેસેજ આપવાનું પણ છે. ઝંખના પટેલની ધમાકેદાર એન્ટ્રીથી સુરત ભાજપના રાજકારણમાં ગરમાવોજાહેરાતમાં સૌથી વધુ ચર્ચિત નામ સુરતના પૂર્વ ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય ઝંખના પટેલનું છે, જેમને પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ જેવી મોટી અને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. એક સમયે જે નેતાની રાજકીય કારકિર્દી પૂર્ણ થઈ ગઈ હોવાનું મનાતું હતું, તેમની આ ધમાકેદાર એન્ટ્રીએ સુરત ભાજપના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. કાર્યકર્તાઓને લાગ્યું કે ઝંખના પટેલનો 'ખેલ ખતમ' થઈ ગયોવર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી પછી ઝંખના પટેલ જાણે મુખ્ય પ્રવાહમાંથી ગાયબ થઈ ગયા હતા. 2022માં તેમને ચોર્યાસી વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી નહોતી. રાજકીય નિષ્ણાંતોના મતે સુરતના સ્થાનિક જૂથવાદના કારણે તેમની ટિકિટ કાપવામાં આવી હતી. એટલું જ નહીં, ધારાસભ્ય પદ ગયા પછી ભાજપના જ મોટા નેતાઓ દ્વારા તેમની સતત અવગણના કરવામાં આવતી હતી. રાજકીય કાર્યક્રમો કે પક્ષની મહત્વની બેઠકોથી તેમને દૂર રાખવાના પૂરતા પ્રયાસો થયા હતા. આ પરિસ્થિતિ જોઈને ભાજપના સામાન્ય કાર્યકર્તાઓએ પણ માની લીધું હતું કે હવે ઝંખના પટેલની રાજકીય કારકિર્દી પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. ત્યારે હવે પાર્ટીએ સુરત જિલ્લામાં તેમની કામગીરીને જોતા સંગઠનમાં સ્થાન આપ્યું છે. આદિવાસી સમાજની મહિલાઓને પ્રાધાન્યઆદિવાસી સમાજમાંથી પણ મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતમાં આદિવાસી સમાજ પર રાઠવા સમાજનું વધારે પ્રભુત્વ હોવાથી મહિલા પ્રતિનિધિત્વ તરીકે ગીતાબેન રાઠવાને મૂકવામાં આવ્યા છે. ગીતાબેન રાઠવા પૂર્વ સાંસદ છે જેઓની કોઈ ખાસ કામગીરી નથી પરંતુ માત્ર આદિવાસી સમાજને પ્રતિનિધિત્વ આપવા માટે ગીતાબેન રાઠવાને પદ આપવામાં આવ્યું છે. કૈલાસબેન ગામીતને મંત્રી પદ આપી દક્ષિણ ગુજરાત સાચવ્યુંતાપી જિલ્લામાંથી કૈલાસબેન ગામીતને મંત્રી પદ આપીને આદિવાસી સમાજને દક્ષિણ ગુજરાતમાં સાચવી લેવામાં આવ્યો છે. બંને મહિલાઓનું ખાસ કોઈ પ્રભુત્વ નથી, પરંતુ આદિવાસી સમાજ જે રીતે ચૈતર વસાવા સાથે જોડાયો છે ત્યારે ભાજપ દ્વારા બંને આદિવાસી મહિલાઓને સ્થાન અપાયું છે. અંજુ વેકરીયા-પ્રીતિ પટેલને સ્થાન આપી દક્ષિણ-ઉત્તર ગુજરાત સાચવ્યુંગુજરાત ભાજપના મહિલા મોરચાના પ્રમુખ તરીકે સુરતના અંજુબેન વેકરીયાને મૂકવામાં આવ્યા છે. અગાઉના મહિલા પ્રમુખની ખાસ કોઈ કામગીરી જોવા મળી નહોતી ત્યારે હવે મહિલા પ્રમુખ તરીકે મુકાયેલા અંજુબેન વેકરીયા સુરતના સંગઠનમાં મંત્રી તરીકે લાંબો અનુભવ ધરાવે છે, 10 વર્ષ સુધી તેઓ મંત્રી રહી ચૂક્યા છે ત્યારે તેઓને મહિલા મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી દક્ષિણ ગુજરાતને સાચવી લેવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતમાંથી મહિલા તરીકે પ્રીતિબેન પટેલને પણ સ્થાન આપવામાં આવ્યું છે જેની પાછળનું એક કારણ ઉત્તર ગુજરાતના પટેલ સમાજને સાચવવાનું છે. ક્ષત્રિય નેતાઓ સાઇડલાઇન થતાં યુવા ચહેરાને સ્થાન અપાયુંયુવા ચહેરા તરીકે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતા એવા ઝાલાવાડમાંથી સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણને મહામંત્રી પદ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જેની પાછળનું એક કારણ એ છે કે છેલ્લા કેટલાય સમયથી ક્ષત્રિય નેતાઓને સાઈડલાઈન કરવામાં આવ્યા હતા. તેને બેલેન્સ કરવા માટે યુવા ક્ષત્રિય નેતાને ભાજપ સંગઠનમાં સ્થાન આપવામાં આવ્યું છે. સરકારમાંથી બાદબાકી થતાં સંગઠનમાં મહત્વનું પદ અપાયુંસુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપના રાજકારણમાં છેલ્લા કેટલાય સમયથી સ્વચ્છ અને નિર્વિવાદિત તેમજ સંગઠનમાં પણ તેમને જવાબદારી સોંપવામાં આવી હતી જેમાં ખૂબ સારું કામ કર્યું હોવાની નોંધ લઈ તેમને જવાબદારી સોંપવામાં આવી છે. સરકારમાં સૌરાષ્ટ્રમાંથી ક્ષત્રિય નેતાઓની બાદબાકી કરી હોવાથી સંગઠનમાં યુવા ક્ષત્રિય નેતાને મહત્વનું પદ આપવામાં આવ્યું હોવાની ચર્ચા છે. ખેડામાંથી અજય બ્રહ્મભટ્ટને મહામંત્રી બનાવી OBC સમાજને સાચવ્યોખેડા જિલ્લાના અજય બ્રહ્મભટ્ટનો સમાવેશ પણ સૌને ચોંકાવનારો છે કારણ કે અજય બ્રહ્મભટ્ટ ક્યારેય પણ કોઈ જૂથમાં જોવા નથી મળ્યા. ખેડા જિલ્લાના રાજકારણમાં દેવુસિંહ ચૌહાણ અને અર્જુનસિંહ ચૌહાણનો દબદબો જોવા મળે છે ત્યારે OBC ચહેરા તરીકે સ્થાન આપવા માટે ખેડા જિલ્લામાંથી અજય બ્રહ્મભટ્ટને મહામંત્રી બનાવી OBC સમાજને સાચવી લેવામાં આવ્યો છે. મધ્ય ગુજરાતમાંથી નિર્વિવાદિત અને યુવા ચહેરાની પસંદગીઆ સાથે અજય બ્રહ્મભટ્ટને મહામંત્રી બનાવવાનું અન્ય એક કારણ પણ છે. મધ્ય ગુજરાતમાંથી એક મહામંત્રી પદ આપવાનું હોવાથી નિર્વિવાદિત અને યુવા ચહેરો હોવાના કારણે થઈને તેમનો મહામંત્રી તરીકે સમાવેશ કરાયો છે. ભરત પંડ્યાએ ફરી સ્થાન મેળવી સૌને ચોંકાવ્યાગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ તરીકેની ટીમમાં સૌથી સિનિયર નેતાઓને મૂકવામાં આવ્યા છે. જેમાં ભરત પંડ્યાને ફરીથી ટીમમાં સ્થાન મળ્યું છે જે સૌને માટે ચોંકાવનારું હતું. ભરત પંડ્યા એટલે સંઘથી લઈને ગુજરાત ભાજપમાં ખૂબ સારી રીતે કામગીરી કરનાર સિનિયર નેતાઓમાંથી એક નેતા. સાઇડલાઇન બાદ ફરી સંગઠનમાં મહત્વની જવાબદારીભરત પંડ્યાએ સંગઠનમાં ઘણું કામ કર્યું છે. ધંધુકાના ધારાસભ્યથી લઈ ગુજરાત ભાજપના સંગઠનમાં ખૂબ લાંબો સમય તેઓએ પાર્ટીની જવાબદારી નિભાવી છે. સૌથી સિનિયર નેતા હોવા છતાં પણ સાઈડલાઈન કરવામાં આવ્યા બાદ ફરીથી અનુભવી અને સિનિયર નેતા તરીકે તેઓનો સમાવેશ કરીને પાર્ટીમાં સંગઠનને વધુ મજબૂત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. સિનિયર નેતાઓના અનુભવનો લાભ લેવાશેઉપપ્રમુખ તરીકે નિમણૂક આપવામાં આવેલા જયદ્રથસિંહ પરમાર જે રાજવી પરિવારમાંથી આવી રહ્યા છે. શાંત સ્વભાવ, સંગઠન લક્ષીની સાથે જ સરકારમાં મંત્રી પણ રહેલા છે.સંગઠન અને મંત્રી તરીકેનો અનુભવ બંને પાર્ટી માટે જરૂરી હોવાથી સિનિયર નેતા તરીકે સમાવેશ કરાયો છે. તો પોરબંદરના પૂર્વ સાંસદ રમેશ ધડૂકની નિમણૂક કરી સૌરાષ્ટ્રના લેઉવા પટેલ સમાજમાંથી સિનિયર નેતાની પસંદગી કરવામાં આવી છે. કોળી સમાજના સિનિયર નેતાની જગ્યાએ યુવા નેતાને જવાબદારીસૌરાષ્ટ્રના કોળી સમાજે પણ પોતાના નેતાઓને મહત્વની જવાબદારી મળે તે માટે અગાઉ માગ કરી હતી. અગાઉ કદાવર નેતાઓ જવાબદારી નિભાવી ચૂક્યા છે ત્યારે હવે યુવા નેતા તરીકે રાજેશ ચુડાસમાને સ્થાન આપવામાં આવ્યું છે.જૂનાગઢ અને ગીર સોમનાથ પંથકમાં પાર્ટીને વધારે મજબૂત કરવા માટે તેમને સ્થાન આપવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતમાંથી ઠાકોર નેતાનો સમાવેશપાર્ટી સંગઠનમાં ઉત્તર ગુજરાતને સ્થાન આપવા માટે OBC સમાજમાં ઠાકોર સમાજને પ્રાધાન્ય આપીને નટુજી ઠાકોરને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સરકારમાં સ્વરૂપજીને સ્થાન આપવામાં આવ્યું તેમ હવે સિનિયર નેતા તરીકે નટુજીનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રદેશની કામગીરીનો અનુભવ ધરાવતા ગૌતમ ગેડીયા ઉપાધ્યક્ષસુરેન્દ્રનગરમાં જ સક્રિય નેતા એવા ગૌતમ ગેડીયા જેને પ્રદેશ સ્તરે કામગીરી કરવાનો અનુભવ છે તેમજ આ અગાઉ રાજ્યસભા ચૂંટણી સમયે તેમની ટિકિટ નક્કી માનવામાં આવતી હતી, પરંતુ સંગઠનમાં જૂથવાદને કારણે તેમને ટિકિટ મળી શકી નહોતી, પરંતુ હવે તેમને ઉપાધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. અનુભવી નેતાઓને મોરચાના પ્રમુખ બનાવાયાસૌથી ચર્ચાસ્પદ ચહેરાઓ જો કોઈ હોય તો તે છે પૂર્વ સાંસદ ડો. કિરીટ સોલંકી અને ગણપત વસાવા. SC અને ST મોરચાના પ્રમુખ તરીકે બંને સિનિયર નેતાઓની નિમણૂક કરવામાં આવી છે. જોકે આ બંને નેતાઓ ભૂતકાળમાં ખૂબ મોટા પદે રહી ચૂક્યા છે, પરંતુ હવે તેમને એક મોરચાના પ્રમુખ તરીકે મૂકાયા છે. SC-ST સમાજને બેલેન્સ કરવા નિમણૂકડૉ. કિરીટ સોલંકી સાંસદ તરીકે ખૂબ લાંબો સમય રહી ચૂક્યા છે. મહત્વના પદ ઉપર સ્થાન મળ્યું છે. જ્યારે ગણપત વસાવા કેબિનેટ મંત્રીથી લઈને વિધાનસભાના અધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે. જેમને સરકારનો પણ અનુભવ છે ત્યારે તેમને હવે માત્ર મોરચાના પ્રમુખ બનાવી દેવાયા છે. SC અને ST સમાજને બેલેન્સ કરવા માટે આ બંને નેતાઓની નિમણૂક કરાઈ છે. ચાલુ ધારાસભ્ય-સાંસદને સંગઠનમાં જવાબદારીયુવા મોરચાના પ્રમુખ બનેલા ડો. હેમાંગ જોશી વડોદરાના સાંસદ છે. જ્યારે એસટી મોરચાના પ્રમુખ ગણપત વસાવા માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય છે. ઉપ-પ્રમુખ તરીકે નીમવામાં આવેલા જયદ્રથસિંહ પરમાર પણ હાલોલના ચાલુ ધારાસભ્ય છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે નિમણૂક પામેલા રાજેશ ચુડાસમા જૂનાગઢના સાંસદ છે. એક વ્યક્તિ એક હોદ્દાના નિયમનો છેદ ઉડ્યોભાજપ દ્વારા એક વ્યક્તિ એક હોદ્દાનો નિયમ રાખવામાં આવ્યો છે. જોકે નવા સંગઠનમાં એક વ્યક્તિ એક હોદ્દાનો છેદ ઉડાડી દેવામાં આવ્યો છે. ચાલુ હોદ્દેદારોને સંગઠનમાં નવી જવાબદારી સોંપવામાં આવી છે. જેથી આગામી સમયમાં હવે શહેર અને જિલ્લાના નવા સંગઠનમાં પણ ક્યાંક ને ક્યાંક ચાલુ હોદ્દેદારોને સંગઠનમાં સ્થાન મળી શકે છે. જોકે આગામી મહાનગરપાલિકા, નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમગ્ર નવું માળખું બનાવવામાં આવશે. અનુભવી, યુવા નેતાની સાથે દરેક સમાજને પ્રાધાન્ય આપતું સંગઠનગુજરાત ભાજપમાં કેટલાક ચહેરા એવા છે કે જે અગાઉના સંગઠનમાં પણ હતા અને હાલમાં પણ તેમને સંગઠનમાં સમાવવામાં આવ્યા છે, પરંતુ હોદ્દો અલગ આપવામાં આવ્યો છે. જેમાં પ્રશાંત કોરાટ જે યુવા મોરચા અધ્યક્ષ હતા તેમને હાલમાં મહામંત્રી બનાવવામાં આવ્યા છે. ગૌતમ ગેડીયા જે SC મોરચા અધ્યક્ષ હતા તેમને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સંજય દેસાઈ જે માલધારી સેલના કન્વીનર હતા તેમને પ્રદેશ મંત્રી બનાવવામાં આવ્યા અને હિરેન હીરપરા જે પહેલા કિસાન મોરચામાં મહામંત્રી હતા તેમને કિસાન મોરચામાં અધ્યક્ષ બનાવાયા છે. અનુભવી, યુવા નેતાની સાથે તમામ સમાજને પ્રાધાન્ય આપતું સંગઠન ગુજરાત ભાજપે જાહેર કર્યું છે. આ પણ વાંચો: ગુજરાત ભાજપના નવા હોદ્દેદારોની CM, DYCM અને વિશ્વકર્મા સાથે બેઠક
ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલાં ભાગમાં તમે વાંચ્યું કે રાજકોટના મોરબી રોડ પર 17 ઓગસ્ટ, 2010ની સવારે કારમાંથી એક યુવકની લોહી નીતરતી લાશ મળી હતી. આ હત્યાકાંડમાં સ્થાનિક પોલીસે પ્રેમપ્રકરણ, લૂંટ તેમજ વેરઝેરના એન્ગલથી તપાસ કરી પરંતુ કાંઈ હાથ લાગ્યું નહીં. આ કેસની ફાઇલ બંધ થવાની જ હતી કે રાજકોટના તત્કાલીન પોલીસ કમિશનરે ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપી દીધી. રાજકોટ ક્રાઇમ બ્રાંચના તત્કાલીન પીઆઈ એચ.કે.રાણા આ કેસની તપાસ કરી રહ્યા હતા. તેમણે ઘટના સમયે એ વિસ્તારમાં એક્ટિવ હોય એવા મોબાઇલધારકોને બોલાવ્યા. આ સાથે જ અગાઉ જે શંકાસ્પદોની પૂછપરછ થઈ હતી તેમને પણ ક્રાઇમ બ્રાંચનું તેડું મોકલ્યું અને તપાસનો ધમધમાટ શરૂ થયો. સરમણ નામનો એક યુવક શંકાના ઘેરામાં હતા. કારણ કે પહેલીવાર તેણે ક્રાઇમ બ્રાંચને નિવેદન આપ્યું કે 17મીની રાત્રે તે રતનપર ગામમાં ડોયરામાં ગયો હતો. જો કે એ ગામમાં ત્યારે કોઈ ડાયરાનું આયોજન થયું ન હોવાનો ખુલાસો થતાં સરમણ પોલીસની રડાર પર આવ્યો અને ફરીથી પૂછપરછ માટે બોલાવ્યો. પીઆઈ રાણાએ જ્યારે સવાલ કર્યો કે, એ ડાયરામાં કલાકાર કોણ-કોણ હતા? આ સવાલનો જવાબ સરમણ પાસે ન હતો. તે ધ્રૂજવા લાગ્યો અને પીઆઈએ આજીજી કરી કે મારે કોન્સ્ટેબલ આર.કે.જાડેજા સાથે ખાનગીમાં વાત કરવી છે. પીઆઈ રાણાએ સહમતી આપી. આ કેસમાં મોટો ઘટસ્ફોટ થવા જઈ રહ્યો હતો. (ભાગ-1 વાંચવા માટે અહીં ક્લિક કરો.) હવે આગળનો ઘટનાક્રમ વાંચો…કોન્સ્ટેબલ આર.કે.જાડેજા અને સરમણ પીઆઈ રાણાની ચેમ્બરમાંથી બહાર નીકળ્યા. પછી સરમણને બાજુના રૂમમાં લઈ જવામાં આવ્યો. રૂમમાં માત્ર બે જ લોકો હતા આરોપી સરમણ અને કોન્સ્ટેબલ જાડેજા. અંદર પહોંચતા જ સરમણ ભાંગી પડ્યો. અત્યાર સુધી જે વાત તેના ગળે આવીને અટકી હતી એ કહેવા માટે આતુર હતો. પણ ડૂમો એટલો ભરાઈ ગયો કે તેના મોઢામાંથી શબ્દો નહોતા નીકળતા. આર.કે.જાડેજા પણ તેની સામે જોઈ જ રહ્યા. સરમણ પોક પાડીને રડી પડ્યો. જાડેજાએ સરમણને શાંત થઈ જવા કહ્યું. થોડી મિનિટો પછી સરમણ માંડ રડતો બંધ થયો. કોન્સ્ટેબલ જાડેજાએ કહ્યું, “બોલ…શું કહેવાનું છે તારે?” હવે જે સત્ય સામે આવવાનું હતું એ એટલું વિચિત્ર અને ભયાનક હતું કે અનુભવી કોન્સ્ટેબલ જાડેજાને પણ વિશ્વાસ નહોતો આવવાનો. સરમણે ધ્રૂજતા અવાજે વાત શરૂ કરી, સાહેબ, હિતેષને મેં માર્યો છે એ સાચું... પણ સાહેબ, એણે જ મને આ કામ માટે પૈસા આપ્યા હતા. આટલું બોલીને તેણે ફરી રડવાનું શરૂ કર્યું. શું કોઈ માણસ પોતાની જ હત્યા માટે સોપારી આપી શકે? સરમણની આ વાતમાં કેટલું સત્ય હતું? અને હિતેષે એ રાત્રે કોઈ યુવકને લિફ્ટ આપી હોવાની વાત પિતાને ફોન પર કહી હતી એ ખોટી હતી? ગણતરીની સેકન્ડમાં જ કોન્સ્ટેબલ જાડેજાના મનમાં આવા અનેક સવાલો ઘુમવા લાગ્યા. કોન્સ્ટેબલ આર.કે.જાડેજા અને સરમણ સામસામે બેઠાં હતા. સરમણની હાલત એવી હતી જાણે તેના શરીરનું આખું લોહી પાણી બની ગયું હોય. તે કંઈક બોલવા માટે મોઢું ખોલતો પણ શબ્દો તેના ગળામાં જ અટકી જતા હતા. કોન્સ્ટેબલ આર.કે.જાડેજા આરોપી સરમણની હાલત સમજી ગયા. તેમણે દયાભાવ દાખવ્યો અને પાણીનો ગ્લાસ આગળ ધર્યો. બોલ્યા, લે, પહેલા પાણી પી અને શાંત થા સરમણે ધ્રૂજતા હાથે ગ્લાસ પકડ્યો અને એક જ શ્વાસે પાણી ગટગટાવી ગયો. પાણી પીધા પછી તેણે એક ઊંડો શ્વાસ લીધો. તેના ચહેરા પર પસ્તાવો અને ડર બન્ને દેખાતા હતા. સાહેબ... હિતેષનું મર્ડર મેં જ કર્યું છે. પણ સાહેબ ભગવાન સાક્ષી છે, એમાં મારો કોઈ વાંક નથી. હિતેષ પોતે જ મરી જવા માગતો હતો. એણે જ મને કરગરીને કહ્યું હતું કે હું એને પતાવી દઉં. એના કહેવાથી જ મેં છરી મારી છે. માંડ આટલું બોલીને સરમણ ફરીથી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. હવે તો કોન્સ્ટેબલ જાડેજા પણ મુંઝાઈ ગયા. કારણ કે સરમણની કબૂલાત ઘણા સવાલો ઊભા કરે એવી હતી. કોન્સ્ટેબલ જાડેજાની ધીરજ ખૂટી અને હવે પીઆઈ રાણાની ચેમ્બરમાં દોડી ગયા. સાહેબ, આણે ગુનો તો કબૂલી લીધો પણ એ જે કહી રહ્યો છે એ સાંભળીને મારું મગજ કામ નથી કરતું. એ કહે છે કે હિતેષે પોતે જ પોતાની હત્યા કરાવી છે પીઆઈ અને કોન્સ્ટેબલ સરમણ હતો એ રૂમમાં આવ્યા. તેમણે જોયું કે સરમણ હજુ રડી રહ્યો હતો. અનુભવી પોલીસ અધિકારી તરીકે તેઓ જાણતા હતા કે હવે પરિસ્થિતિ કેટલી ગંભીર બની ચૂકી છે. તેમણે સ્ટાફને ઈશારામાં કહ્યું, અત્યારે કાંઈ પૂછશો નહીં, એને રડી લેવા દો. લગભગ અડધો કલાક સુધી ક્રાઈમ બ્રાંચની ટીમ સ્તબ્ધ હતી. કારણ કે કોઈ માણસ પોતે જ પોતાના મર્ડરનો પ્લાન બનાવે એ વાત જ એકદમ ચોંકાવનારી હતી. જેવી રીતે સરમણની હેડકીઓ શાંત થઈ તેણે માથું નમાવીને ધીમેથી વાત શરૂ કરી. સાહેબ, હિતેષ મારો ભાઈબંધ હતો. પણ છેલ્લા કેટલાય વખતથી એ બહુ ટેન્શનમાં હતો. એણે મને કહ્યું હતું કે એના પર બહુ મોટું દેવું થઈ ગયું છે. જો એ જીવતો રહેશે તો ઉઘરાણી કરનારા લોકો એને અને પરિવારને હેરાન કરશે. પણ જો એ મરી જાય તો એણે ઉતરાવેલી કરોડોની વીમા પોલિસીના રૂપિયા પરિવારને મળે અને એ સુખી થઈ જશે. પીઆઈ એચ.કે.રાણા અને સ્ટાફ એકટીસે સરમણની વાતો સાંભળી રહ્યા હતા. થોડીવાર માટે મૌન સેવ્યા બાદ સરમણે એકપણ સવાલ વગર જ પોતાની વાત આગળ વધારી. એણે (હિતેષે) મને સમજાવ્યું કે જો એ આત્મહત્યા કરે તો વીમા કંપની એક રૂપિયો ન આપે. એટલે મને કરગરીને કહ્યું, 'સરમણ… તું મારો ભાઈબંધ છે, તું મને મારી નાખ, જેથી મારા ઘરના લોકોને વીમાના 2 કરોડ રૂપિયા મળે.' મેં પહેલાં તો ના પાડી સાહેબ. પણ એણે મને ભાવુક કરી દીધો. એણે આખું પ્લાનિંગ પોતે કર્યું હતું. મર્ડરની રાત્રે લિફ્ટ આપ્યાનો ફોન એણે ઘરે કર્યો હતો, એ પણ એક નાટકનો જ ભાગ હતો. જેથી પોલીસને લાગે કે કોઈ અજાણ્યા માણસે હિતેષની હત્યા કરી છે. સરમણની આ કબૂલાત સાંભળીને પીઆઈ રાણા સહિત આખો સ્ટાફ રીતસર ચોંકી ગયો. રાજકોટના ગુનાખોરીના ઇતિહાસમાં આ કદાચ પહેલો એવો કિસ્સો હતો જ્યાં મરનારે પોતે જ પોતાની સોપારી આપી હોય. હવે પોલીસ સામે સૌથી મોટો પડકાર એ હતો કે શું સરમણ સાચું બોલી રહ્યો છે? શું ખરેખર હિતેષે આટલું ભયાનક પ્લાનિંગ કર્યું હતું? અને શું પોલીસ પાસે એવો કોઈ પુરાવો હતો જે આવી અજૂગતી કબૂલાત સાચી હોવાનું સાબિત થાય? ક્રાઈમ બ્રાંચના સ્ટાફે વર્ષોથી ઘણા ક્રિમિનલ ઝડપ્યા હતા. રીઢા ગુનેગારોનું મોઢું ખોલવા માટે ઘણા તીકડમ પણ કર્યા હતા પણ આ કેસ તો સાવ જૂદો જ હતો. આવી કબૂલાત કોઈ પોલીસકર્મીના કાને ક્યારેય પડી નહોતી. પીઆઈ રાણા અને તેમની ટીમ સરમણની સામે જોઈ રહી હતી. સરમણે ગળગળા અવાજે આગળ કહ્યું, સાહેબ, હિતેષ સાથે મારો સંબંધ માત્ર મિત્રતાનો નહોતો, એ મારા મોટો ભાઈ જેવો હતો. મેં ચાર વર્ષ એની દુકાને નોકરી કરી હતી. નોકરી છોડીને જ્યારે મેં ચાની લારી કરી ત્યારે પણ એ ઘણીવાર મને મળવા આવતો. હત્યાના લગભગ 10 દિવસ અગાઉની વાત છેહિતેષે સરમણને ફોન કર્યો અને મળવા માટે બોલાવ્યો. હિતેષને લાગ્યું કે કંઈક કામ હશે. આવી મુલાકાતો પહેલાં પણ બન્ને મિત્રો વચ્ચે ઘણીવાર થયેલી હતી. પણ આ વખતે જ્યારે સરમણ હિતેષને મળવા માટે પહોંચ્યો તો હિતેષે કહ્યું, “ચાલ આંટો મારીને આવીએ છીએ.” પછી બન્ને હિતેષની કારમાં નીકળી પડ્યો. રસ્તામાં હિતેષે હવે વાત શરૂ કરી. બોલ્યો, સરમણ… હું મારા પપ્પા અને વાઇફને રૂપિયાની ખેંચમાં જોવા નથી માગતો. હું ઈચ્છું છું કે મારા ગયા પછી પણ એ લોકો એકદમ શાંતિથી અને સુખીથી રહે. આ માટે હું મારો જીવ આપવા તૈયાર છું પરંતુ મારી અંતિમ ઇચ્છા પૂરી કરવા માટે થોડી કુરબાની તારે પણ આપવી પડશે. સરમણને લાગ્યું કે હિતેષ કદાચ મજાક કરી રહ્યો છે, પણ હિતેષે કાર રસ્તાની સાઈડમાં ઉભી રાખી. તેણે સરમણના બંને હાથ પકડ્યા અને આ જ સમયે તેની આંખોમાં આંસુ આવી ગયા. હિતેષ બોલ્યો, ભાઈ… તારે મારું મર્ડર કરવાનું છે. સરમણના શરીરમાંથી જાણે વીજળી પસાર થઈ ગઈ. હિતેષ… તું હોશમાં તો છે ને? શું બોલે છે તું? હિતેષે કારમાં બેઠાં-બેઠાં જ ગંભીરતાથી પોતાનો પ્લાન સમજાવવાનું શરૂ કર્યું. તેણે 2006થી અલગ અલગ 8 વીમા કંપનીઓની 2 કરોડની વિમા પોલિસીઓ ઉતરાવી હતી. તેનું એક જ લક્ષ્ય હતું, પોતાનું મોત અને પરિવારનું ઉજળુ ભવિષ્ય. હિતેષે તેના મિત્ર સરમણને કહ્યું, મેં આપઘાત કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો પણ વીમા કંપની એમાં પૈસા નથી આપતી. એક મહિના પહેલાં મેં જેતપુર પાસે જાણીજોઈને મારી કારથી એક્સિડન્ટ કર્યો હતો. કારનો તો કચ્ચરઘાણ વળી ગયો પણ નસીબ એવું કે હું બચી ગયો. હવે મારી પાસે એક જ રસ્તો છે…મારી હત્યા થાય. દોસ્ત આ કામ તારા સિવાય કોઈ ન કરી શકે, કારણ કે મને તારા પર વિશ્વાસ છે. હું મારા હાથે મારા ભાઈબંધનું લોહી કેવી રીતે વહાવું?, સરમણે ચોખ્ખી ના પાડી દીધી. પણ હિતેષ હાર માને તેમ નહોતો. તેણે બે હાથ જોડીને આજીજી કરી. તારે આ અહેસાન મારા પર કરવો જ પડશે. જો તું આ કામ કરીશ તો તને 95 હજાર રૂપિયા મળે એવી ગોઠવણ મેં કરી રાખી છે. તને રૂપિયા મળી જશે અને મારા પરિવારનું ભવિષ્ય પણ સુધરી જશે. ક્રાઇમ બ્રાંચની ઓફિસમાં હજુ પણ સોપો જ પડેલો હતો. તમામ લોકો સરમણની વાતો ધ્યાનથી સાંભળી રહ્યા હતા. આખરે તેણે મિત્રની વાતમાં હામી ભરી. આટલી વાત કહેતા સરમણનું ગળુ સુકાઈ ગયું અને તેણે ફરીથી પાણી માગ્યું. પાણી પીને શર્ટના કોલરથી હોઠ સાફ કરી સરમણે ફરી બધા પોલીસસકર્મીઓ પર નજર કરી. તે પોતાની લાચારી બતાવી રહ્યો હતો. બોલ્યો, સાહેબ… એ પછી જે થયું એ કહેતા તો મારું પણ કાળજું કાંપી ઉઠે છે. હવે સરમણ એ રહસ્ય ખોલવાનો હતો કે 17 ઓગસ્ટ, 2010ની એ રાતે ખરેખર શું બન્યું હતું. હિતેષે પોતે જ એ છરી ખરીદી હતી? પોતે જ પોતાના હાથ-પગ બાંધ્યા હતા? શું કોઈ માણસ ખરેખર પોતાના પરિવાર માટે આ હદ સુધી જઈ શકે? પોલીસ સ્ટાફના મનમાં ઘણા સવાલો હતા. ક્રાઈમ બ્રાંચના એ રૂમમાં હવે પિન-ડ્રોપ સાયલન્સ હતું. સરમણે ધ્રૂજતા અવાજે રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો, સાહેબ, હિતેષે આ કોઈ ઉશ્કેરાટમાં નહોતું કર્યું. એણે તો બધુ જ પ્લાનિંગ પોતાની રીતે કરી રાખ્યું હતું. એણે મને એક ચિઠ્ઠી આપી હતી જેમાં લખ્યું હતું કે અમારે બન્નેએ ડમી સીમકાર્ડ અને મોબાઈલ લેવાના છે જેથી પોલીસ ટ્રેક ન કરી શકે. એણે મને પ્લાસ્ટિકની દોરી અને ધારદાર છરીની વ્યવસ્થા કરવા કહ્યું હતું. વાત માત્ર હત્યાની નહોતી પણ મિત્રને પૈસા મળે એની ગેરંટીની પણ હતી. હિતેષે એક ચિઠ્ઠી લખી રાખી હતી કે તેણે સરમણ પાસેથી 95 હજાર રૂપિયા ઉછીના લીધા છે. પ્લાન મુજબ, હત્યાના થોડા દિવસ પછી સરમણે એ ચિઠ્ઠી હિતેષના પિતાને બતાવવાની હતી, જેથી તેને તેના કામની કિંમત મળી જાય. હિતેષની હત્યા 17મી ઓગસ્ટે નહીં પણ લગભગ એકાદ અઠવાડિયા પહેલાં જ થઈ જવાની હતી. આ મુદ્દે સરમણે કહ્યું, એક અઠવાડિયા પહેલાં પણ અમે ગોંડલ રોડ તરફ ગયા હતા. પણ સાહેબ એ દિવસે મારી હિંમત ન ચાલી. હું માનસિક રીતે ભાંગી પડ્યો હતો અને પ્લાન પડતો મૂકી પાછા આવી ગયા પણ હિતેષ મક્કમ હતો. 16 ઓગસ્ટ, 2010હિતેષે ફોન કરીને સરમણને હુડકો ચોકડી પાસે બોલાવ્યો હતો. ત્યાંથી કારમાં પારડી ગામ સુધી ગયા હતા. પારડી પાસે હિતેષે તેના પિતાને ફોન કરીને કોઇને લિફ્ટ આપ્યાની વાત કરી ફોન સ્વીચ ઓફ કરી દીધો અને કાર મોરબી રોડ તરફ હંકારી મૂકી હતી. રાતના અંધારામાં લોકોની અવરજવર ન હોય એવી જગ્યાએ તેણે કારને બ્રેક મારી. હિતેષ ડ્રાઈવિંગ સીટ પર બેઠો હતો. તે છેલ્લીવાર સરમણને વહાલથી ભેટ્યો. પછી પોતે જ સૂચના આપી કે તેના હાથ-પગ દોરીથી બાંધી દેવામાં આવે. બોલ્યો, સરમણ, હવે ઢીલો ન પડતો. મારા પરિવાર માટે આટલું કર. આ ઘટનાને યાદ કરતા સરમણ પોલીસ સામે રડતા-રડતા બોલ્યો, સાહેબ… મેં એના હાથ-પગ બાંધ્યા. મારી આંખોમાં અંધારા આવતા હતા. મેં છરી કાઢી અને મારું મોઢું બીજી તરફ ફેરવી લીધું. મેં એના પેટમાં બે ઘા ઝીંક્યા, પણ મારા હાથ ધ્રૂજતા હતા. એ મર્યો નહીં. મોતને ગળે લગાડવા મન બનાવી બેઠેલા હિતેષે મને ગાળ દીધી અને કહ્યું, “પેટમાં છરી મારવાના બદલે ગળું કાપી નાખ!” ધ્રુજતા હાથે ગળામાં છરી મારી પરંતુ ઊંડો ઘા વાગ્યો નહીંં. હિતેષે ફરી ગાળો દીધી અને જોરથી કહ્યું, “સરમણ, છાતીમાં ડાબી બાજુ છરી માર તો જ જીવ નિકળશે” આ સાંભળ્યા પછી શું થયું એ ખબર નથી. પરંતુ મેં મોઢું ફેરવીને છાતીમાં ખચાખચ ઘા મારી દીધા, આટલી પીડા પછી પણ હિતેષ છેલ્લી વખત બોલ્યો કે, “સરમણ છાતીમાં છરી મારીને બહાર ન કાઢતો હાથા ઉપર મુક્કા મરીને અંદર પેસાડી દે” ભાઈબંધની એ અંતિમ ઇચ્છા પણ પૂરી કરી. તરફડીયા મારી રહેલા મિત્રની હાલત જોઇ શકે તેમ ન હોવાથી તેને ત્યાં તરફડતો મુકીને ભાગી ગયો હતો. અંતિમવિધી પત્યા પછી હિતેષના પિતા મગનભાઇ પાસે ચિઠ્ઠી લઇને લઈ ગયો. એ વાંચીને મગન કાકાએ મને 90 હજાર રોકડા આપી દીધા હતા. આટલું કહીને સરમણ બન્ને હાથે માથું પકડીને બેસી ગયો. પીઆઈ રાણા અને આખી ટીમ સ્તબ્ધ હતી. મિત્રતા અને હત્યાના કેસનો આવો ભયાનક અંત આવશે એ કોઈએ ધાર્યું નહોતું. પણ માત્ર સરમણ વાત કહે અને માની લેવું એ પુરતું ન હતું. એટલે સરમણ સાચું જ બોલે છે કેમ એ દિશામાં પણ પોલીસે તપાસ કરી. પોલીસને હિતેષના ઘરેથી એક ચિઠ્ઠી મળી જેમાં ઉછીની રૂપિયા લીધા હોવાનો ઉલ્લેખ હતો. જેણે સરમણની કબૂલાત પર મહોર મારી દીધી. ત્યાર બાદ તપાસ માટે પોલીસ હવે વીમા કંપનીઓ સુધી પહોંચી. ત્યાંથી જાણકારી મળી કે હિતેષે ખરેખર ટૂંકા ગાળામાં 2 કરોડ રૂપિયાની 8 અલગ-અલગ પોલિસીઓ લીધી હતી. એટલે આ પોલિસી પાછળ હિતેષનું શું ગણિત હતું એ પણ સ્પષ્ટ થઈ ગયું. આમ, આ કેસમાં ષડયંત્રનો પર્દાફાશ કર્યો અને સાબિત થઈ ગયું કે હિતેષની હત્યા લૂંટના ઈરાદે નહોતી થઈ પણ વીમો પકવવા માટે રચાયેલું એક આત્મઘાતી ષડયંત્ર હતું. આ ઘટસ્ફોટ થતાં જ વીમા કંપનીઓએ વળતર ચૂકવવાનો ઈનકાર કરી દીધો. પોલીસે સરમણની ધરપકડ કરી અને કાયદા પ્રમાણે તેના વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરી. હિતેષની હત્યાના કેસમાં સરમણ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો. લગભગ ત્રણ વર્ષ સુધી એ જેલમાં રહ્યો. પછી સરમણ વિરુદ્ધ કોર્ટમાં પુરાવા ટૂંકા પડ્યા અને તેનો નિર્દોષ છૂટકારો થયો. (નોંધ: આ સત્યઘટનામાં પોલીસ સ્ટાફ સિવાય તમામ પાત્રના નામ બદલવામાં આવ્યા છે.)
15 જૂન 2025સમયઃ રાત્રે 12 વાગ્યા પછીનોજસરા, બનાસકાંઠા‘ધીમે ધીમે પગ મૂકજે, આજુબાજુ કોઈને ભણક પણ ન આવવી જોઈએ.’ પોચે પગલે બાપ-દીકરાએ ઝૂંપડી તરફ ચાલવાનું શરૂ કર્યું. જેવા ઝૂંપડીના દરવાજે પહોંચ્યા એટલે બાજુના ખેતરમાં રોટાવેટર પર બેઠેલા મિત્રને કૉલ કર્યો. મિત્રએ તરત જ રોટવેટરની સ્વિચ પાડી ને કાન ફાડી નાખે એવા અવાજ સાથે રોટાવેટર પૂરા ખેતરમાં ફરવા માંડ્યું. આ બાજુ બાપ-દીકરો આજુ-બાજુ જોતાં જોતાં ઘરમાં ઘૂસ્યા. ઘરમાં ખાટલો ઢાળી ઘોર નિદ્રામાં સૂઈ રહેલાં માજી-બાપાની બાજુની તરફ ડગલાં માંડ્યાં. હજુ તો નજીક પહોંચે એ પહેલાં જ ખમીરવંતા બાપાની ઊંઘ ઊડી ગઈ. પોતાની ઓરડીમાં અજાણ્યાને આવેલા જોઇને બાજુમાં પડેલી લાકડી પર હાથ જાય એ પહેલાં તો એ રાક્ષસે બાપાના મોઢા પર જ ધારિયું મારી દીધું. બાપા કશું બોલે એ પહેલાં તો ગળામાં ને છાતીએ વધુ ઊંડા ઘા ભોંકી બાપાનો જીવ ખેંચી લીધો. બાપાની ચીસથી બાજુમાં સૂતેલાં માજી ઊઠવા ગયાં એ પહેલાં તો એ નરાધમોએ માજીને પણ હથિયાર ભોંકી દીધું ને એમનો પણ જીવ જતો રહ્યો. *** પૈસાના વરસાદની વિધિ માટે બે નિર્દોષના જીવ લીધાકોણ હતા આ આરોપીઓ? શાંતિથી સૂઈ રહેલાં આ વૃદ્ધ દંપતીની આવી કરપીણ હત્યા શા માટે કરી? કોઈ જૂની અદાવત કે લૂંટનો ઇરાદો? નહીં. જવાબ છે, અંધશ્રદ્ધા. લોકો અંધશ્રદ્ધાની જાળમાં બીજા કોઈને ફસાવી પોતાના ધ્યેય પૂરા કરતા હોય છે, એ વાત હજુ આપણાં માનવામાં આવે. પરંતુ ‘માયાજાળ’ના આજના એપિસોડમાં જોઇશું કે આરોપીઓએ પોતાનો વિધિ કરવા માટે બે નિર્દોષને આંટીએ લઈ લીધાં. બનાસકાંઠાના જસરા ગામે ‘પૈસાનો વરસાદ’ કરાવી આપે તેવી વિધિ પૂરી કરવા ચાર નરાધમોએ મળીને બે નિર્દોષના જીવ લઈ લીધા. *** પગમાંથી કડલા ન નીકળ્યા, તો પગ કાપીને કાઢી લીધા!અડધી રાત્રે ઘરમાં ઘૂસીને એ રાક્ષસ બાપ-દીકરાએ લોહિયાળ ખેલ ખેલ્યો, પછી ઘરમાંથી નીકળતાં નીકળતાં પણ ખાંખાંખોળા કરીને પૈસા અને કિંમતી સામાન લૂંટ્યો. માજીએ પગમાં પહેરેલા અઢી લાખના કડલા ખેંચીને કાઢવાની ટ્રાય કરી, પણ નીકળ્યા નહીં. એટલે ફરી ધારિયું ઉગામ્યું ને બંને પગ કચડ… કચડ… અલગ કર્યા. પગમાં પહેરેલા અઢી લાખના કડા કાઢ્યા ને ભાગી ગયા. બહાર નીકળી ખેતરમાં રોટાવેટર ચલાવતા સાળાને ફોન કર્યો એટલે એણે પણ બ્રેક મારી ને ત્રણેય અંધારામાં ઓગળી ગયા. *** પોલીસ ઇન્સ્પેક્ટરનાં માતા-પિતા જ અંધશ્રદ્ધાની અડફેટે આવી ગયાંઆરોપીઓએ જ્યારે રેકી કરી ત્યારે એટલી ખબર હતી કે, આ વૃદ્ધ દંપતી વાડીએ ભાગિયા સાથે રહે છે અને એ ભાગિયાની દીકરી બંને વૃદ્ધોને ઘરકામમાં મદદ કરે છે. જ્યારે એમનો દીકરો શહેરમાં ક્યાંક નોકરી કરે છે. અડધી રાત્રે થયેલા એ ડબલ મર્ડર બાદ રાત ગઈ, પણ વાત હવે વધવાની હતી. કેમ કે જે વૃદ્ધ બા-દાદાનું ઢીમ ઢાળી દીધું હતું, એમનો દીકરો કોઈ સામાન્ય નોકરિયાત નહીં, પણ પોલીસબેડાની સ્પેશિયલ ટીમ SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ)નો PI (પોલીસ ઇન્સ્પેક્ટર) હતો! નામ અજમલ વર્ધાભાઈ પટેલ ઉર્ફે SMC PI એ. વી. પટેલ! પટેલ સાહેબનું પત્ની-બાળકો સાથે રહેવાનું પાટણ, પણ શહેરમાં ઘરડાં દંપતીનું મન ન લાગ્યું એટલે વાડીએ જ ઘર બનાવીને રહેતાં. ‘ભાઈ, તું જલદી આવી જા, કોઇકે બા-બાપુનો જીવ લઈ લીધો છે’16 જૂન 2025સવારના 6:46 વાગ્યેજસરા, બનાસકાંઠાવહેલી સવારે ભાગિયાની દીકરી ઘરમાં આવી અને જોયું ત્યાં તો એની આંખો પહોળી થઇ ગઇ. સામે પડી હતી બે લાશ! હેબતાઈને યુવતી ભાગી ને ઘરે ગઈ અને પિતાને વાત કરી કે, ત્યાં તો આવું થયું છે. ભાગિયા સેધાભાઈએ સીધો જ PI સાહેબને ફોન કર્યો, પણ અજમલભાઈ કામથી વડોદરા હતા એટલે એમનો ફોન ઊપડ્યો નહીં. થોડી વાર રહીને એમણે સામેથી ફોન કર્યો ત્યાં સેધાભાઇએ રડતાં રડતાં કહ્યું, ‘સાહેબ… સવારે મારી દીકરી તમારા ઘરે ગઈ, ત્યાં બા-બાપુ લોહીવાળા ખાટલામાં સૂતાં હતાં…’ હજુ તો આટલું સંભળાયું, ત્યાં અજમલભાઈનો ધ્રાસકો પડ્યો. ફોન કાપ્યો ને, ગામના મિત્ર મફાભાઈને ફોન કર્યો કે, ‘ભાઈ, જલદી મારા ઘરે જા અને જો તો બા-બાપુને શું થયું છે?’ હજુ 10-15 મિનિટ પણ નહોતી થઈ ત્યાં મફાભાઈનો સામે ફોન આવ્યો કે, ‘ભાઈ, તું જલદી ઘરે આવી જા. બા-બાપુને કોઇકે તીક્ષ્ણ હથિયારો મારીને જીવ લઈ લીધો છે.’ ઓરડીમાં વૃદ્ધ દંપતીની લોહીઝાણ લાશ હતી, વૃદ્ધાના તો પગ પણ કપાયેલા હતા!PIએ વડોદરાથી તાત્કાલિક ગાડી ભગાવી અને જસરા પહોંચ્યા. ઝૂંપડીમાં જઈ જોયું તો, 56 વર્ષનાં માતા હોશીબેન ને 60 વર્ષના પિતા વર્ધાભાઈ પટેલની લાશ પડી હતી. આરોપીએ ધારિયાથી ગળે, છાતી પર અને માથામાં જોર જોરથી ઘા માર્યા હતા. ઉપરથી હોશીબેનના તો પગ ગોઠણથી કપાયેલા પડ્યા હતા. હોશીબેને પહેરેલું સોનાનું ફૂલ, કાનની બુટ્ટી, કડીઓ અને બંને પગના દોઢ કિલોના ચાંદીના કડલા ગાયબ હતા. ઘરની તિજોરીનાં તાળાં પણ તૂટેલાં હતાં ને એમાંથી પણ ઘરેણાં મિસિંગ હતાં. મતલબ ઘરમાં હત્યા ઉપરાંત લૂંટ પણ થઈ હતી. સવારે જેવી ગામમાં ખબર પડી ત્યારે 8-9 વાગ્યે જ કોઈએ પોલીસને જાણ કરી ને સ્થાનિક PI એ. બી. ભટ્ટ તાત્કાલિક ક્રાઇમ સીન પર પહોંચી ગયા. મામલો ગંભીર જણાતાં કેસ પહોંચ્યો જિલ્લા પોલીસવડા SP અક્ષયરાજ મકવાણા પાસે. જાંબાઝ IPS અક્ષયરાજ પોતાની ટીમ લઇને તુરંત જ ક્રાઇમ સીન પર પહોંચી ગયા ને તપાસ ચાલુ કરાવી. વધારે કડક તપાસ માટે આખા કેસનું ઇન્વેસ્ટિગેશન સોંપ્યું બનાસકાંઠા ASP સુમન નાલાને. IPS સુમન મેડમે પોતાના ઘોડા દોડાવવાનું શરૂ કર્યું. આજુબાજુમાં બધે પૂછપરછ શરૂ કરી. પરંતુ ન તો કોઈએ અવાજ સાંભળ્યો હતો કે ન તો ક્યાંય પગલાં કે કશું મળ્યું. તપાસ ધીરે ધીરે અઘરી બનતી જતી હતી. ‘રાજસ્થાનની એક ગેંગ અદ્દલ આ જ મોડસ ઓપરેન્ડીથી હત્યાઓ કરે છે’સાંજ સુધી તપાસ ચાલી. બધી બાજુ ટેક્નિકલ સર્વેલન્સ શરૂ કર્યું. ત્યાં કોઈએ ધ્યાન દોર્યું કે, રાજસ્થાનની એક ગેંગ છે, જેની આ સેઇમ મોડસ ઓપરેન્ડી છે. એ લોકો આ રીતે જ મર્ડર કરી લૂંટ મચાવે છે. IPS સુમન નાલાએ એ દિશામાં તપાસ કરી તો ખબર પડી કે, એ ગેંગની ક્રાઇમ પેટર્ન અને આ ક્રાઇમ પેટર્નમાં એક મોટો ફર્ક છે. એ ગેંગ ફક્ત હાઇવે પર જ લૂંટ મચાવે છે, જ્યારે આમનું મર્ડર તો ઘરમાં થયું છે. મતલબ આ એ ગેંગ તો નથી, પણ બીજી બાજુ તપાસમાં એવું લાગ્યું કે, બની શકે કે ક્રિમિનલ અહીં આસપાસનો જ હોય. યુવાન તો સૂઈ ગયેલો, પછી એણે ફોન પર કોની સાથે વાત કરી?પૂછપરછ કરતાં ખ્યાલ આવ્યો કે રાત્રે આ વૃદ્ધ દંપતીએ એમની દીકરી સાથે ફોન પર વાત કરી હતી. યાને કે ત્યાં સુધી તેઓ સુરક્ષિત હતાં. એ પછીથી રાત્રે 11 વાગ્યા બાજુ તો આસપાસના લોકો પણ જાગતા હતા. એટલે જે થયું એ મોડી રાત્રે થયું હતું. પોલીસે સૌથી પહેલાં તો ટાવર ડમ્પિંગ કરી મોડી રાત્રે જેટલા લોકોના ફોન ચાલુ હતા, એ દરેકનો ડેટા મંગાવ્યો. તેમાંથી જેટલા લોકોના ફોન મોડી રાત્રે ચાલુ હતા એ દરેકને પૂછપરછ માટે બોલાવ્યા. દરેકને અલગ અલગ બેસાડી નોર્મલ પૂછપરછ કરી, ત્યાં 20-22 વર્ષનો એક શકમંદ સુરેશ પટેલ બોલ્યો કે, હું તો કાલે રાત્રે 10-11 વાગ્યામાં સૂઈ ગયો હતો. પોલીસની બત્તી ઝબકી. કેમ કે અડધી રાત્રે બે-ત્રણ કોલ એના નંબર પર આવેલા હતા અને એણે ઉપાડ્યા પણ હતા. પોલીસને એ આરોપી પર વધુ શંકા ગઈ. એના પરિવારને અને એની સાથે સંપર્કમાં હતા એ દરેકની ઊંડાણથી પૂછપરછ શરૂ કરી. બાપ-દીકરાની માયાજાળમાં મામા પણ લપેટાયાપોલીસે ક્રોસ ક્વેશ્ચનિંગ કરી પોતાની રીતથી પૂછપરછ કરી તો થોડી જ વારમાં બહાર આવી ગયું કે, સુરેશે એના પિતા શામળાભાઈ સાથે મળીને આ આખી માયાજાળ પાથરી હતી. જેમાં સુરેશના મામા ઉમાભાઈ પટેલ પણ ઇનવોલ્વ હતા. જ્યારે બાપ-દીકરો મર્ડર કરી લૂંટ મચાવતા હતા ત્યારે કદાચ કોઈ બૂમબરાડા કરે, તો અવાજ બહાર ન જાય એટલે ઉમાભાઈ બાજુના જ ખેતરમાં રોટાવેટર ચલાવતા હતા. વારાફરતી પિતા અને મામાની પૂછપરછ કરી તો થોડી વારમાં એમણે પણ કબૂલી લીધું, પણ આ કરવા પાછળનું કારણ શું? લૂંટ કરવી હતી તો મર્ડર કેમ કર્યું ને મર્ડર કરવું હતું તો આટલી ક્રૂરતાથી પગ કેમ કાપ્યા? ‘કડલાની વિધિ કરો, તો જીવનમાં ધનવર્ષા થશે’હકીકતે આખી ઘટના પાછળ જવાબદાર હતી અંધશ્રદ્ધા. સુરેશને માથે મોટું દેવું થઈ ગયું હતું. ક્યાંયથી પૈસા ભેગા થાય એમ નહોતા. એવામાં એક ભૂવા સાથે મુલાકાત થઈ. નામ દિલીપજી મફાજી ઠાકોર. ભૂવાએ કહ્યું કે, જો તમે કોઈ વૃદ્ધાનો જીવ લઈ એમના કડલાની વિધિ કરો તો તમારા જીવનમાં ધનવર્ષા થશે. સુરેશ વાતમાં આવી ગયો, પણ આમ કોઈનું મર્ડર કેમ કરવું? એટલે વાત કરી પિતાને. બાપ-દીકરાએ આખો પ્લાન બનાવ્યો ને જરૂર પડી તો મામાને પણ ઇનવોલ્વ કર્યા. ત્રણેય રાક્ષસોએ મળીને પડોશીમાં રહેતાં વૃદ્ધાનું જ ઢીમ ઢાળી દેવાનું નક્કી કર્યું. પ્લાન મુજબ મોડી રાત્રે ઘરમાં ઘૂસ્યા, દંપતીનું ઢીમ ઢાળ્યું ને કડલા લઈ ભાગી ગયા. ખૂની ખેલ પછી એ જ રાત્રે શરૂ થઈ તાંત્રિક વિધિએ પછી સુરેશના પિતા રાત્રે ઘરે જઇને સૂઈ ગયા, ને મામા-ભાણિયો વિધિ કરવા નીકળી પડ્યા. ઘરે કોઈ વ્હીકલ નહોતું એટલે ટ્રેક્ટર પર જ ભૂવા પાસે જવા નીકળી પડ્યા. ભૂવાને પણ અડધે રસ્તે બોલાવી લીધો ને, એક પેટ્રોલ પંપ પર ભૂવાને મળ્યા. મામા-ભાણિયાએ ટ્રેક્ટર ત્યાં પેટ્રોલ પંપ પર જ મૂક્યું ને ભૂવાની સ્વિફ્ટ ગાડીમાં બેસી નીકળી પડ્યા. રસ્તામાં એક હોસ્પિટલેથી પથરીની દવા લીધી ને પછી ભૂવાના ઘરે જઇ કડલાની વિધિ કરી. ભૂવાએ પૂછ્યું પણ ખરું કે, આ કડલા ક્યાંથી આવ્યા? જવાબમાં સુરેશ કહે, ‘એક માજીએ ઘરે છુપાવ્યા હતા ત્યાંથી લઈ આવ્યા છીએ.’ ભૂવાએ વિધિ કરી ને વહેલી સવારે મામા-ભાણિયો ઘરે આવ્યા ને સૂઈ ગયા. ‘મારા શરીરમાં મામાદેવ આવે છે’પોલીસ સાથે વાત કરી તો ખબર પડી કે, ‘સવારે જ્યારે ક્રાઇમ સીન ઇન્વેસ્ટિગેશન ચાલુ હતું એ ટાઈમે ત્યાં હાજર પોલીસ અને મીડિયાને આ સુરેશ તો પાણી પીવડાવતો હતો! જાણે એને પણ મા-બાપ જેવાં પાડોશી ગુમાવવાનું પારાવાર દુઃખ હોય એવા હાવભાવ એના ચહેરા પર હતા. સુરેશની પૂછપરછમાં એવું ચોક્કસથી લાગતું હતું કે, તે માનસિક રીતે થોડો વિકૃત અને સાયકો છે. એ માનસિકની વાતોમાં એ એવું પણ બોલતો હતો કે, એના શરીરમાં ‘મામાદેવ’ આવે છે અને ‘મામાદેવ’ જ બધું કરાવે છે. ધનવર્ષા માટેની વિધિમાં કડલાની સાથે મર્ડરમાં વપરાયેલું હથિયાર પણ મૂકવાનું હતું. એટલે પોલીસે જ્યારે ભૂવાના ઘરે તપાસ કરી તો ભૂવાના ઘરે જમીનમાં દાટેલું ને મર્ડરમાં વપરાયેલું એક હથિયાર મળી આવ્યું. જ્યારે મર્ડર વેપનની બીજી છરી આરોપીઓએ નજીકના મામાદેવના મંદિરે ચડાવી હતી.’ પોલીસે ભૂવાની પૂછપરછ કરી તો માલૂમ પડ્યું કે, ‘બનાસકાંઠાની આસપાસ ઉત્તર ગુજરાતમાં પગના કડલાને સુહાગનું નિશાન માનવામાં આવે છે. એટલે વિધિ માટે ખાસ કડલા મંગાવ્યા હતા.’ જ્યારે સોનાના કડલાની તપાસ કરી તો રાત્રે વિધિ કર્યા બાદ ભૂવો વહેલી સવારે નજીકના જ્વેલર્સમાં એ કડલા વેચી આવ્યો હતો. પોલીસે એ હથિયારો પરથી લોહીનાં સેમ્પલ લીધાં અને આરોપીઓની કબૂલાત પ્રમાણે રસ્તે આવતાં CCTV તપસ્યા તો બધી જ કડી મળી ગઈ અને કેસનો નિવેડો આવ્યો. એ ઘરડાં દંપતીનો શો વાંક હતો?આ ડબલ મર્ડર કેસમાં સંડોવાયેલા ચારેય આરોપી બાપ-દીકરો, મામો અને ભૂવો, જેલના સળિયા પાછળ છે. ગુજરાત હાઇકોર્ટમાં એમનો કેસ ચાલી રહ્યો છે. પરંતુ એમની અંધશ્રદ્ધાના ચક્કરમાં સાવ નિર્દોષ એવાં એક ઘરડાં દંપતીએ પોતાનો જીવ ગુમાવ્યો ને એક પરિવારે પોતાનાં મોભી એવાં મા-બાપની છત્રછાયા ગુમાવી. આ એવી ખોટ હતી જેની ભરપાઈ ક્યારેય થાય એમ નહોતી.
હવેથી નીટ, જેઈઈની પરીક્ષામાં બાયોમેટ્રિક હાજરી લેવાશે
એનટીએનો મહત્ત્વનો નિર્ણય ફેશિયલ રેકોગ્નિશન થકી પારદર્શકતા લાવવા તથા ગેરરીતિ રોકવાનો પ્રયાસ મુંબઈ - નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬થી જેઈઈ, નીટ જેવી પ્રવેશ પરીક્ષાઓમાં પરીક્ષાર્થીનો ચહેરો ઓળખવા માટે ટેક્નોલોજીનો સહારો લેવાનું એનટીએએ નક્કી કર્યું છે. આથી ઉમેદવારોએ પણ અરજી ભરતી વખતે લાઈવ ફોટો અપડેટ કરવાનો રહેશે. પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શકતા વધારવા અને ફસામણીના કિસ્સા રોકવા માટે આ સિસ્ટમનો ઉપયોગ કરાશે.
ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દોરાથી વાહનચાલકોને ઇજા ન થાય તે માટે પાલિકાએ શહેરના 17 રેલવે ઓવરબ્રિજ અને ફ્લાય ઓવર પર તાર લગાવવાનું શરૂ કર્યું છે. બ્રિજ પર સેન્ટ્રલ ડિવાઈડરની ઉપર અને બાજુના બંને થાંભલા પર તાર લગાવવામાં આવી રહ્યા છે. ઉત્તરાયણ પર્વમાં રોડ પર દોરા પડવાને કારણે વાહનચાલકોનાં ગળાં કપાવવાં તેમજ હાથ કે અન્ય અંગ પર ઘસરકા લાગવાના અનેક બનાવ બનતા હોય છે. કેટલાક કિસ્સામાં વાહનચાલકનું મોત પણ નીપજે છે. આવી ઘટનાઓને રોકવા અને વાહનચાલકોને ઇજા ન થાય તે માટે પાલિકાના સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા શહેરના 17 બ્રિજ પર તાર લગાવવાનું શરૂ કર્યું છે. શહેરના 17 ફ્લાય ઓવર અને રેલવે ઓવરબ્રિજ પર સેન્ટ્રલ ડિવાઈડર ઉપર આવેલા થાંભલા અને બ્રિજની જમણી અને ડાબી બાજુના છેડા પર આવેલા થાંભલા પર તાર લગાવવામાં આવી રહ્યા છે. જેને કારણે દોરો તાર ઉપર પડે છે અને વાહન ચાલકને ઇજા ન થાય. ભાસ્કર ઇનસાઇડકાટ લાગવાથી તાર તૂટી જતા દર વર્ષે નવા લગાવાય છેકાટને કારણે તાર તૂટી જતા હોવાથી દર વર્ષે નવા લગાવાય છે. પાલિકાનો સ્ટ્રીટ લાઇટ વિભાગ 15 વર્ષથી આ કામગીરી કરે છે. દર વર્ષે તાર લગાવવાની કામગીરી કરાય છે. જેમાં કાટ લાગવાને કારણે કાં તો તાર તૂટી જાય છે અથવા કોઈ કારણસર તારને કાઢી લેવામાં આવે છે. જેનાથી દર વર્ષે નવા તાર લગાવવાની કામગીરી કરવામાં આવે છે. આ વર્ષે તાર લગાવવા પાછળ રૂા.1 લાખનો ખર્ચ થયાનો અંદાજ છે.
ગોરવા રહેતી યુવતીએ ઓનલાઈન ગેમની લતમાં દાદીના પેન્શનના રૂા.4 લાખ વેડફી નાખ્યા હતા સાથે દાદીની સોનાની ચેન વેચીને 1 લાખ મોજ-શોખમાં વાપરી નાખ્યા હતા. આ વિશે પરિવારને જાણ થતાં આઘાતમાં સરી ગયો હતો અને અભયમની મદદ માગી હતી. ટીમે યુવતીનું કાઉન્સેલિંગ કરતા તેને ભૂલનું ભાન થતાં પરિવારની માફી માગી હતી. ગોરવામાં રહેતી અને મ.સ.યુનિવર્સિટીમાં ડાયેટિશિયનના કોર્સના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી યુવતી મિત્રોની સંગતથી ઓનલાઈન ગેમની લતે ચઢી ગઈ હતી. તે પોતાનો મોબાઈલ હોવા છતાં દાદીનો મોબાઈલ વાપરતી હતી. દાદીએ તેને ઘણીવાર પૂછ્યું કે, મારો ફોન કેમ વાપરે છે? ત્યારે તે કહેતી કે, મારે કામ છે. જેથી દાદી પણ તેને કંઈ કહેતાં નહોતાં. હાલમાં તેનાં બે ફોઈ ઘરે આવ્યાં હતાં. તેઓએ વાત-વાતમાં માતાનો ફોન તપાસતાં જાણ થઈ કે, માતાના બેંક ખાતામાંથી 4 લાખ ઊપડી ગયા છે. આ વિશે પૂછતાં ઘરમાં કોઈને જાણ નહોતી. જેથી યુવતીને કડકાઈથી પૂછતાં તેણે જણાવ્યું કે, તે 4 મહિનાથી ઓનલાઈન ગેમ રમે છે અને 4 લાખ તેમાં ગુમાવી દીધા છે. સાથે દાદીની સોનાની ચેન 1 લાખમાં વેચી દીધી છે. જેથી પરિવારે અભયમની મદદ લીધી હતી. ટીમે તેનું કાઉન્સેલિંગ કરી સમજાવ્યું કે, તેણે અભ્યાસમાં ધ્યાન આપવું જોઈએ. મોબાઈલનો ઉપયોગ અભ્યાસ માટે કરવો જોઈએ. આખરે તેણે ભૂલ સ્વીકારીને માફી માગી હતી. માતા 4 માસથી પથારીવશ, પુત્રી પર ધ્યાન ન આપી શક્યાંયુવતી તેની માતા અને દાદી સાથે રહે છે. જ્યારે તેના પિતા અલગ રહે છે. છેલ્લા 4 મહિનાથી તેની માતા પણ પથારીવશ છે. જેથી તે યુવતી પર ધ્યાન આપી શકતાં નથી. તે આખો દિવસ મોબાઈલનો ઉપયોગ કર્યા કરતી હતી. ઉલ્લેખનીય છે કે, તેણે 2 લાખ મેળવ્યા પણ હતા. ભાસ્કર એક્સપર્ટ
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'.
કોટંબી સ્ટેડિયમ ખાતે રમાનાર ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની વન ડે મેચની પ્રેક્ષકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ સ્ટેડિયમ ખાતે પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મેચ 11 જાન્યુઆરીએ યોજાનાર છે ત્યારે તેના માટે 11 પીચ તૈયાર કરાઈ રહી છે. કાળી માટી કે લાલ માટીની પીચ પર મેચ રમવી તે નક્કી કરવા બીસીસીઆઈના પીચ ક્યુરેટર 3 જાન્યુઆરી આવશે. કોટંબી સ્ટેડિયમમાં 6 લાલ અને 5 કાળી માટીની પીચ છે. જ્યારે 11 પૈકી વચ્ચેની 5 પીચમાં કેમેરા સિસ્ટમ ફિટ કરાયેલી છે. હાલ ઘાસ કાપવું, પીચ પર રોલિંગ કરવું તેમજ વિકેટ તૈયાર કરાઈ રહી છે. પીચ ક્યુરેટર આવીને સ્થળ પર પીચ પર વધુ રોલર ફેરવવું, ક્યાં પાણી વધુ નાખવું સહિતનું માર્ગદર્શન આપીને નક્કી કરશે કે મેચ ક્યાં રમાશે. ત્યારબાદ પીચ મુજબ તેને મધ્યમાં રાખીને બાઉન્ડ્રી સેટ કરાશે. ડ્રેસિંગ રૂમ અને પ્રેક્ટિસ એરિયાની તૈયારી શરૂડ્રેસિંગ રૂમની તૈયારી શરૂ કરી દેવાઈ છે. સાથે પ્રેક્ટિસ એરિયા પણ તૈયાર કરવાનું શરૂ કરાયું છે. પ્રેક્ટિસ વિકેટ પણ તૈયાર કરાઈ રહી છે. સાથે લાઇટ, રોલર ફેરવવાની તૈયારી કરાઈ રહી છે. પ્રેક્ષકોને સીટ પર ફ્રીમાં પાણી અપાશે, બોટલ પર પ્રતિબંધસુરક્ષાને ધ્યાને રાખી પ્રેક્ષકો પાણીની બોટલ સ્ટેડિયમમાં લઈ જઈ શકશે નહીં. સ્ટેડિયમમાં 70 વેન્ડર્સ રહેશે, સાથે જ પૂરતો સ્ટાફ રહેશે. તમામ પ્રેક્ષકોને પીવાનું પાણી ફ્રીમાં અપાશે. સ્ટાફ પ્રેક્ષકો પાસે જઈ પાણી આપી જાય તેવું આયોજન કરાયું છે. કુરિયર મારફતે ટિકિટ પહોંચાડાશે,વેચાણ માટે 25 હજાર ટિકિટ રખાશેઓડીઆઈ મેચને લઈ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 1 જાન્યુઆરી સવારે 11 વાગ્યાથી ઓનલાઇન પ્લેટફોર્મ પર ટિકિટ બુકિંગ શરૂ થનાર છે. ત્યારે પ્લેટફોર્મ પર પ્રેક્ષકે પોતાનું સરનામું પણ લખવાનું રહેશે. તે પછી 3-4 દિવસમાં કુરિયર મારફતે ટિકિટ ઘરે પહોંચાડાશે તેમ સૂત્રોએ કહ્યું હતું. 25 હજાર ટિકિટ વેચાણ માટે રહેશે. ટિકિટો 1 હજાર, 2 હજાર, 5 હજાર અને 7500ની કિંતમની મળશે. જ્યારે સાઉથ સ્ટેન્ડની ટિકિટ સૌથી મોંઘી હશે. જ્યારે બીસીએના સભ્યો 6-7 જાન્યુઆરીએ સંસ્કૃતિ હોલ એલેમ્બિક ખાતેથી બે કોમ્પ્લિમેન્ટ્રી પાસ મેળવી શકશે. સભ્યો માટે સંસ્કૃતિ હોલ સવારે 10-30થી સાંજે 5-30 સુધી ચાલુ રહેશે. બીજી તરફ ટ્રાફિક મેનેજમેન્ટ માટે જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર તૈયારી કરી દેવાઈ છે. જ્યારે સુરક્ષા માટે પણ બંદોબસ્તનું આયોજન કરાયું છે. પાર્કિંગ માટે આસપાસનાં ખેતરો ભાડે લેવાયાં છે. લાલ માટી અને કાળી માટીમાં શું તફાવત હોય છે?

28 C