SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

26    C
... ...View News by News Source

જોધપુરમાંથી ઝડપાયેલા 40 કરોડના ડ્રગ્સ કેસમાં ગુજરાત કનેક્શનની તપાસ ચાલુ:ડ્રગ્સ ફેક્ટરીમાંથી 6 પેડલરોને ઝડપી પાડ્યા, ઇન્ટરનેશનલ માફિયાની સંડોવણીની આશંકા

ગુજરાત ATSએ રાજસ્થાન પોલીસ સાથે જોધપુરમાં સંયુક્ત ઓપરેશન કરી 40 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. જોધપુરના સોઈંત્રા ગામમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી લઈ છ પેડલરોને ઝડપી લીધા છે. આ તમામની પૂછપરછ હાલ રાજસ્થાન પોલીસ કરી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ડ્રગ્સ રેકેટ રાજસ્થાન અને ગુજરાત બંને રાજ્યમાં ચાલતુ હોવાનું સામે આવ્યું છે. હવે તેમાં કોઈ ઇન્ટરનેશનલ માફિયાની સંડોવણી હતી કે નહીં તેની તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત રાજસ્થાન પોલીસને આ રેકેટમાં ગુજરાતના મોટા માથાની સંડોવણી હોવાની સંભાવના લગાતા તે દિશામાં તપાસ શરૂ કરી છે. ડ્રગ્સ કેસના વોન્ટેડ આરોપી સહિત છ લોકોની ધરપકડ કરીદક્ષિણ ગુજરાતમાંથી ઝડપાયેલા 40 કરોડ રૂપિયાના ડ્રગ્સ કેસની તપાસ ગુજરાત ATSની ટીમ કરી રહી છે. ગુજરાત ATSની ટીમના ACP શંકર ચોધરીને બાતમી મળી હતી કે, આ કેસનો વોન્ટેડ આરોપી મોનુ ઓઝા હાલ રાજસ્થાન, જોધપુરના સોઈંત્રા ગામમાં છે. પોલીસે તેનું પાકું લોકેશન મેળવી તેને ઝડપી લેવા જુદી જુદી ટીમો રાજસ્થાન પહોંચી હતી. સોઈંત્રા ગામમાંથી પોલીસે મોનુને એક આખી ડ્રગ્સની ફેક્ટરી સાથે ઝડપી લીધો હતો. પોલીસે ડ્રગ્સ ફેક્ટરીમાંથી 40 કિલો લિક્વીડ એમડી ડ્રગ્સ પણ કબજે કર્યું હતું. સાથે મોનુના અન્ય પાંચ સાથીદારો ડુંગર સિંહ (ઉંમર 50), અલીમુદ્દીન (ઉંમર 58), ગોવિંદ સિંહ (ઉંમર 40), રણવિજય સિંહ (ઉંમર 50) તથા અઝીઝ ખાન (ઉંમર 48)ને પણ ઝડપી લીધા હતા. ડ્રગ્સ ફેક્ટરીમાં ગુજરાતના મોટા માથાની સંડોવણીની આશંકાહાલ આ કેસની તપાસ રાજસ્થાન પોલીસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ લોકો કેટલા સમયથી ફેક્ટરી ચલાવી રહ્યા છે, તેનો માસ્ટર માઇન્ડ કોણ છે, કોણે રોકાણ કર્યું છે, રો મટીરીયલ ક્યાંથી આવતું હતું અને તેઓ ડ્રગ્સ કોને સપ્લાય કરતા હતા. આ તમામ સવાલોના જવાબ મેળવવા કાર્યવાહી ચાલુ છે. જોકે, પ્રાથમિક તપાસમાં જ આ રેકેટ ગુજરાત અને રાજસ્થાન બે રાજ્યોમાં ચાલતું હોવાનું અને તેમાં ગુજરાતના મોટા માથાની સંડોવણી હોવાની વિગતો મળી રહી છે. આ ઉપરાંત ડ્રગ્સની ફેક્ટરી કેટલા સમયથી ધમધતી હતી અને કેટલું ડ્રગ્સ સપ્લાય કરી દેવામાં આવ્યું હતું તેની તપાસ પણ ચાલે છે.

દિવ્ય ભાસ્કર 9 Dec 2025 12:05 am

સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુન્હાના આરોપીનું રિકન્સ્ટ્રક્શન:​₹ 10 લાખના મુદ્દામાલ સાથે પકડાયેલા કુખ્યાત ગુજસીટોક આરોપી 'હોલે હોલે'ને સી ડિવિઝન પોલીસે ક્રાઈમ સીન રિકન્સ્ટ્રક્શન માટે ગુનાના સ્થળે લઈ ગઈ.

જૂનાગઢ સી ડિવિઝન પોલીસે શહેરના કુખ્યાત અને ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહીનો સામનો કરી રહેલા મોસ્ટ વોન્ટેડ આરોપી મોસીન ઉર્ફે ફેઝલ ઉર્ફે હોલે હોલે ફિરોઝખાન મલેક અને તેના સાગરીત અવેશ હુસેનભાઈ મતવા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીને આગળ ધપાવી છે. ગત તારીખ 11/10/2025 ના રોજ સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બળજબરીથી પૈસા કઢાવી લેવા અને રાયોટિંગનો ગંભીર ગુનો નોંધાયો હતો, જેની તપાસના ભાગરૂપે આજે પોલીસ દ્વારા આ બંને આરોપીઓને ગુનાના સ્થળે લઈ જઈને ક્રાઈમ સીન રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. ​સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ અનિરુદ્ધસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આ બંને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા અને જે જગ્યાએ તેઓ અવારનવાર ગુનાઓ આચરતા હતા, તે બનાવ વાળી જગ્યા પર લઈ જઈને રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી કરવામાં આવી હતી. ખાસ ઉલ્લેખનીય છે કે, આરોપી મોસીન ઉર્ફે હોલે હોલે વિરુદ્ધ અગાઉ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ગુજસીટોકના કામે તેનો કબજો સુરતથી મેળવવામાં આવ્યો હતો. રેકોર્ડ મુજબ, હોલે હોલે 27 ગુનાના કામે કબજો લેવામાં આવ્યો હતો. આ આરોપી અવારનવાર આવી ગંભીર પ્રવૃત્તિઓ આચરી રહ્યો હોવાથી આજે ગુનાની સમગ્ર પદ્ધતિ સમજવા માટે રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી કરવામાં આવી હતી. મોસીન ઉર્ફે હોલે હોલે સહિતની આ મોસ્ટ વોન્ટેડ આરોપીઓની ટોળકીને જૂનાગઢ એસઓજી (SOG) દ્વારા ગત તારીખ 18/11/2025 ના રોજ સફળતાપૂર્વક ઝડપી પાડવામાં આવી હતી. એસઓજીએ બાતમીના આધારે સુરેન્દ્રનગરના ગેડીયા ગામ નજીકથી મોહસીન ઉર્ફે ફેઝલ ઉર્ફે હોલે હોલે ફીરોઝભાઈ મલેક (જેના વિરુદ્ધ 31 ગુના નોંધાયેલા છે), રમીઝખાન ઉર્ફે ભાવનગરી યુસુફખાન પઠાણ (જેના વિરુદ્ધ 8 ગુના) અને સીરાઝ બોદુભાઈ ઠેબા (જેના વિરુદ્ધ 2 ગુના) નામના ત્રણ આરોપીઓને દબોચી લીધા હતા. આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ખૂન, લૂંટ અને ચોરી સહિત કુલ 41 ગુના નોંધાયેલા હતા. એસઓજીએ આરોપીઓ પાસેથી ₹70,000ના મોબાઇલ ફોન, ₹10,00,000ની ક્રેટા કાર, અને ₹1,000નું જીઓ રાઉટર મળી કુલ ₹10,71,000ની કિંમતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. ​આ પકડાયેલા આરોપીઓ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા BNS કલમ 308(5),115(2) સહિતની અન્ય કલમો હેઠળના ગુનામાં નાસતા ફરતા હતા. ભૂતકાળમાં આ ટોળકીએ ફરિયાદીને શાંતિથી નોકરી કરવી હોય કે પાર્ટીઓમાં જવું હોય તો તેમની ગેંગને રૂપિયા દસ હજાર આપવાનું કહી, આરોપીએ તેની પાસેનું ધારીયું બતાવી, થપ્પડ મારી, કાઠલો પકડી અને જાનથી મારી નાખવાની ધમકી આપીને રૂ. 2,500 બળજબરીપૂર્વક કઢાવી લીધા હતા. આજે સી ડિવિઝન પોલીસે ગુનાની તપાસના ભાગરૂપે આ ગંભીર ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરીને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી હતી.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 11:34 pm

નીલા સ્પામાંથી કૂટણખાનું ઝડપાયુ:રાજકોટમાં પોલીસે ડમી ગ્રાહક બની ઓપરેશન પાર પાડ્યું, સ્પા સંચાલક ગ્રાહક દીઠ રૂ.3000 લઈ રૂપલલનાને રૂ.2000 આપતો

રાજકોટમાં સ્પાની આડમાં ચાલતુ વધુ એક કુટણખાનું ઝડપી પાડવામાં આવ્યું છે. શહેરના 150 ફૂટ રીંગ રોડ ઉપર મવડી ચોકડી પાસે આવેલા નીલા સ્પામાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે રેડ પાડી સ્પાના નામે ચાલતો દેહ વ્યાપારનો ધંધો ખુલ્લો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી હતી. અહીં ગ્રાહકો પાસેથી રૂ.3000 લેવામાં આવતા હતા જેમાંથી ભોગ બનનાર સ્ત્રી એક ગ્રાહક દીઠ સ્પા સંચાલકને રૂ.1000 આપતી હતી. પોલીસે ડમી ગ્રાહક બની આ ઓપરેશન પાર પાડતા અફડાતફડી મચી ગઈ હતી. શહેરની મવડી ચોકડી પાસે ન્યુ જલારામ સોસાયટીમાં સ્પામાં છોકરીઓ રાખી મસાજના નામે દેહ વ્યાપારનો વ્યવસાય ચાલતો હોવાની બાતમીના આધારે રાજકોટ શહેર પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ ડમી ગ્રાહક મારફત ત્યાં પહોંચી હતી. જે બાદ હકીકતમાં ત્યાં સ્પાની આડમાં કુટણખાનું ચાલતું હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે શહેરના ભગવતી પરામાં રહેતા સુનિલ નાથાભાઈ ચાવડા, ઋષિ સુરેશભાઈ જાની, વિશાલભાઈ, કાલાવડ રોડ ઉપર લાભમુળ એપાર્ટમેન્ટમાં રહેતા સુશાંત પદમ સર્કિ અને એક 39 વર્ષીય મહિલાને ઝડપી પાડવામાં આવી હતી. પોલીસે ત્યાંથી 5 મોબાઈલ મળી રૂ.25450 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અહીં સ્પામાં ગ્રાહકો પાસેથી એન્ટ્રી ફી રૂ. 1000 લેવામાં આવતી હતી અને શરીર સંબંધ માટે એક્સ્ટ્રા સર્વિસ સ્વરૂપે રૂ.2000 લેવામાં આવતા હતા. જેમાંથી સ્પા સંચાલક ભોગ બનનાર સ્ત્રી પાસેથી રૂ.1000 વસૂલતા હતા. પોલીસે દિલ્હીની 1 અને પશ્ચિમ બંગાળની 2 રૂપલલનાને ઝડપી પાડી હતી.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 10:49 pm

આદિજાતિ વિકાસ ફંડ પર રાજકારણ:ચૈતર વસાવાના સાંસદ મનસુખ વસાવા પર આક્ષેપો, સરકારે 2,470 કરોડના આંકડાઓ રજૂ કર્યા

આદિજાતિ વિકાસને લઈને ગુજરાતમાં રાજકીય ઘમાસાણ ચરમસીમાએ છે. AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે પત્રકાર પરિષદમાં ભાજપના સાંસદ મનસુખ વસાવા પર આક્ષેપો કરતા કહ્યું હતું કે, આદિવાસી વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ, સિકલ સેલ સબસીડી અને કૃપોષિત બાળકો માટે ગ્રાન્ટ નથી, જ્યારે પ્રધાનમંત્રીના કાર્યક્રમોમાં કરોડો રૂપિયા આદિજાતિ વિકાસ ફંડમાંથી ખર્ચવામાં આવ્યા. ચૈતર વસાવાની ચેતવણી, કહ્યું- પુરાવા આપો નહીં તો માનહાનીનો કેસ કરીશચૈતર વસાવાએ આરોપ મૂક્યો કે બે મહિનામાં પાંચ મોટા કાર્યક્રમોના ભારે ખર્ચા પણ આજ ફંડમાંથી બંધારણ વિરૂદ્ધ રીતે ચૂકવાય છે. તેમણે કહ્યું કે, નર્મદામાં 10 કરોડનું કમલમ બનાવાયું, જ્યારે આંગણવાડી, શાળા અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓ માટે ફંડ નથી. સાંસદ મનસુખ વસાવાએ તેમના વિરુદ્ધ ખોટા આક્ષેપો કર્યા હોવાનો દાવો કરીને ચૈતર વસાવાએ ચેતવણી આપી કે, પુરાવા નહીં આપે તો માનહાનીનો કેસ કરશે અને “તેમને મનોચિકિત્સકની જરૂર છે” એવું પણ કહ્યું. ધારાસભ્યએ આરોપ કર્યો કે, નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પર બુટલેગરો દ્વારા હુમલામાં પણ ભાજપની ભૂમિકા છે અને જો દારૂ અને ડ્રગ્સ માફિયાઓ સામે કાર્યવાહી નહીં થાય તો મોટી લડત શરૂ કરવામાં આવશે. 11 લાખથી વધુ વિદ્યાર્થીઓને 2470 કરોડ શિષ્યવૃત્તિ સહાય ચૂકવીઆ આક્ષેપોના વચ્ચે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે સરકાર તરફથી આંકડાઓ રજૂ કર્યા. મંત્રીના જણાવ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં ST ના 11 લાખથી વધુ વિદ્યાર્થીઓને ₹2470.57 કરોડની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ સહાય આપવામાં આવી છે. વર્ષ 2025-26માં 1.13 લાખ વિદ્યાર્થીઓને ₹460 કરોડ DBT મારફતે સીધા ચૂકવાશે અને તેમાં મેડિકલ, પેરામેડિકલ, ઈજનેરી, આર્ટસ, કોમર્સ, સાયન્સ, B.Ed, M.Ed સહિતના અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે. “વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ Vs વિકાસ ફંડના ખર્ચા” નામે રાજકારણમંત્રી નરેશ પટેલે દાવો કર્યો કે કેન્દ્ર અને રાજ્ય સરકાર આદિજાતિ શિક્ષણના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને આવનાર સમયમાં યોજનાઓને વધુ મજબૂત બનાવવામાં આવશે. રાજકારણ હવે “વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ Vs વિકાસ ફંડના ખર્ચા” નામના સંઘર્ષમાં ફેરવાયું છે. હવે જોવાનું એ છે કે મનસુખ વસાવા પુરાવા આપે છે કે પછી આ મામલો કોર્ટ અને રાજકીય મંચ સુધી પહોંચે છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 10:21 pm

ટ્રાફિક સિટીમાં તમારું સ્વાગત છે, DRONE વીડિયો:સુરતમાં દિલ્હી-મુંબઈ જેવો ટ્રાફિકજામ, મેટ્રો અને રેલવે સ્ટેશન રિડેવલોપમેન્ટના કારણે 5 KMના રોડ પર વાહનોના થપ્પા

સુરત શહેર ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે જાણીતું છે પણ છેલ્લા એક-બે વર્ષથી જે રીતે ટ્રાફિકજામ સર્જાઈ રહ્યો છે, તેના પગલે ટ્રાફિક સિટી તરીકે ઓળખ થવા લાગે તો નવાઈ નહીં. એક તરફ મેટ્રોની કામગીરી ચાલી રહી છે જ્યારે સીટીની મધ્યમાં આવેલા સુરત રેલ્વે સ્ટેશનની પણ રિ-ડેવલોપમેન્ટની કામગીરી ચાલી રહી છે. આ બંને કામગીરીને કારણે લોકો દિલ્હી મુંબઈ જેવા ટ્રાફિકજામમાં ફસાઈ રહ્યા છે. આજે રાત્રે પીક અવર્સમાં 5 કિલોમીટર લાંબા ટ્રાફિક જામના દૃશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે. મેટ્રો અને રેલવે રિ-ડેવલોપમેન્ટનો પ્રોજેક્ટ નાગરિકો માટે સૌથી મોટી મુસીબતજે શહેરને તેના સમૃદ્ધ ટેક્સટાઇલ અને ઝગમગતા ડાયમંડ ઉદ્યોગ માટે ડાયમંડ સિટી તરીકે વૈશ્વિક ઓળખ મળી છે, તે સુરત હવે છેલ્લા એક-બે વર્ષથી સર્જાતા ભયંકર ટ્રાફિક જામને કારણે એક નવી, અનિચ્છનીય ઓળખ તરફ ધકેલાઈ રહ્યું છે 'ટ્રાફિક સિટી'. શહેરના વિકાસ માટે ચાલી રહેલી બે મહત્ત્વની કામગીરી મેટ્રો રેલ પ્રોજેક્ટ અને સુરત રેલવે સ્ટેશનનું રિ-ડેવલોપમેન્ટ હાલમાં નાગરિકો માટે સૌથી મોટી મુસીબત બની ગઈ છે. શહેરના હાર્દ સમા વિસ્તારમાં એકસાથે ચાલી રહેલા આ મોટા પ્રોજેક્ટ્સને કારણે વાહનવ્યવહારની ગતિ અટકી ગઈ છે. આ રૂટ પર રોજબરોજ વાહનોની લાંબી કતારો જોવા મળે છેસુરત રેલવે સ્ટેશનને મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ (MMTH) તરીકે વિશ્વસ્તરીય બનાવવાની મહત્ત્વાકાંક્ષી કામગીરી ચાલી રહી છે. જોકે, આ કામગીરીને કારણે જાહેર માર્ગો પર મોટો અવરોધ ઊભો થયો છે. ખાસ કરીને દિલ્હી ગેટ વિસ્તારથી લઈને રિંગરોડ સુધીના મુખ્ય માર્ગ પર સ્ટેશનના કામકાજને લીધે બેરીકેટિંગ કરી દેવામાં આવ્યું છે. આ બેરીકેટિંગને કારણે રોડની પહોળાઈ ઘટી ગઈ છે અને ટ્રાફિકનું ભારણ વધી ગયું છે. આ સાથે જ રીંગરોડ પર મેટ્રોની કામગીરી ચાલી રહી છે. જેના કારણે થોડા થોડા દિવસોના અંતરે અલગ-અલગ રસ્તાઓ બંધ કરવામાં આવી રહ્યા છે. હાલ પણ મજુરાગેટ બ્રિજની સાઈડના રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો છે. પરિણામે, આ રૂટ પર રોજબરોજ વાહનોની લાંબી કતારો જોવા મળે છે. મજુરા ગેટથી લઈને મહીધરપુરા પોલીસ સ્ટેશન સુધી 5 KMનો ટ્રાફિકજામઆજે રાત્રે પીક અવર્સ દરમિયાન મજુરા ગેટથી લઈને મહીધરપુરા પોલીસ સ્ટેશન સુધી પાંચ કિલોમીટરનો ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો. આ પાંચ કિલોમીટરના ટ્રાફિક જામના કારણે ઉધના ખરવર નગર થી ઉધના દરવાજા સુધી પણ ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. આ દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા હતા, જેમાં રસ્તાઓ પર વાહનોના થપ્પા લાગી ગયા હોય તેવું જોવા મળ્યું હતું. વર્તમાન સ્થિતિ સુરતવાસીઓની ધીરજની કસોટી કરી રહી છેએક તરફ મેટ્રોની કામગીરીને કારણે પણ શહેરના અનેક માર્ગો પર ખોદકામ અને ડાયવર્ઝન છે, અને બીજી તરફ રેલવે સ્ટેશનના રિ-ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. આ બંને મોટા પ્રોજેક્ટ્સ ભવિષ્યમાં સુરતની કાયાપલટ કરવાના છે અને મુસાફરીને સરળ બનાવશે, પરંતુ વર્તમાનમાં તે સુરતવાસીઓની ધીરજની કસોટી કરી રહ્યા છે. લોકોને ટ્રાફિક જામમાં કલાકો સુધી ફસાવું પડે છે, જેના કારણે માત્ર સમયનો જ નહીં, પરંતુ ઈંધણનો પણ વ્યય થાય છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 10:14 pm

'મેં ઝુકેગા નહીં સાલા' ડાયલોગ પર હવાબાજી કરનારને પોલીસે ઝુકાવ્યો:વડોદરામાં પુષ્પા બની યુવક રિક્ષા પર ચઢ્યો, કહ્યું- મેં હી હૈ બોસ; પોલીસે પકડતાં જ કાન પકડી માફી માગી

વડોદરામાં માથાભારે રિક્ષાચાલકનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં રિક્ષાચાલકે રિક્ષાના છાપરે ચડી હાથમાં તિક્ષ્ણ હથિયાર સાથે 'મેં ઝુકેગા નહીં સાલા' ડાયલોગ સાથેની રીલ બનાવી હતી. સોશિયલ મીડિયામાં તેણે રીલ પોસ્ટ કરતા વાઈરલ થઈ હતી. જેને પગલે વડોદરા ટ્રાફિક પોલીસ એક્સનમાં આવી ગઈ હતી અને યુવકને પકડી પાડ્યો હતો અને તેની પાસે કાન પકડીને માફી મંગાવી હતી. યુવકે 'મેં હી હૈ બોસ, પુષ્પા ધ બોસ' ડાયલોગ સાથેની રીલ બનાવીવડોદરાના રિક્ષાચાલકે હાથમાં તીક્ષ્ણ હથિયાર સાથે વીડિયો બનાવ્યો હતો અને ભાઈગીરીની રીલ બનાવી વિસ્તારમાં રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો અને જાહેરનામાં ભંગ કરીને પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. રિક્ષાચાલકની આ રીલ વાઇરલ થઈ હતી, આ રીલમાં રિક્ષાચાલક કહેતો જોવા મળ્યો હતો કે, મેં હી હૈ બોસ, પુષ્પા ધ બોસ, પુષ્પા હૈ તો ધંધા હૈ, દુનિયા મેં ચાહે કહી ભી રહું, મેં ઝુકેગા નહીં સાલા ડાયલોગ સાથેની રીલ બનાવી હતી. 'હું જિંદગીમાં બીજી વાર આવો વીડિયો નહીં બનાવું'વીડિયો વાઇરલ થતા પોલીસે યુવકને ઝડપી પાડ્યો હતો અને વડોદરા ટ્રાફિક પોલીસે યુવકને પકડીને તેની પાસે માફી મંગાવી હતી, યુવકે વીડિયોમાં કહ્યું હતું કે, મેં પુષ્પા-2નો વીડિયો બનાવ્યો હતો. હાથમાં હથિયાર હતું. હું કહું છું કે, આવો વીડિયો તમે ક્યારેય ન બનાવતા, મારાથી ભૂલ થઈ ગઈ છે. હું જિંદગીમાં બીજી વાર આવો વીડિયો નહીં બનાવું, બધા ચેતી જજો, હું કાન પકડું છું, હું વડોદરા શહેરને કહેવા માંગુ છું કે, મારાથી ભૂલ થઇ ગઈ છે, હવે હું ક્યારેય આવો વીડિયો નહીં બનાવું. પુષ્પા સ્ટાઈલમાં ભાઇગીરી કરનારની પોલીસે ભાઇગીરી કાઢીપહેલા પુષ્પા સ્ટાઇલમાં વીડિયો મૂકીને ભાઈગીરી કરી હતી અને પછી પોલીસ સ્ટેશનમાં આવતા જ એની ભાઈગીરી નીકળી ગઈ હતી અને પોલીસ સમક્ષ અને વડોદરાવાસીઓની માફી માગી હતી અને લોકોને આવો વીડિયો ન બનાવવા માટે અપીલ કરી હતી અને સાથે જ તે પોતે પણ આવો વીડિયો નહીં બનાવું તેમ જણાવ્યું હતું. સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કરતા પોલીસે કાર્યવાહી કરીઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં આ પ્રકારના અસામાજિક તત્વો સોશિયલ મીડિયા પર રીલ્સ મૂકતા હોય છે, કેટલાક લોકો જોખમી સ્ટંટ કરીને વીડિયો સોશિયલ મીડિયા પર મુકતા હોય છે, ત્યારે રિક્ષાચાલકે વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો. જેને પગલે પોલીસે તેની સામે કાર્યવાહી કરી છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 9:57 pm

14 વર્ષ જૂના લાંચ કેસમાં પૂર્વ તલાટીને 2 વર્ષની જેલ:કોર્ટની કડક ટિપ્પણી – ભ્રષ્ટાચાર લોકશાહીના પાયાને જોખમમાં મૂકે છે, વૃદ્ધાવસ્થા અને બીમારીની દલીલ કોર્ટે ફગાવી

સુરતની એક અદાલતે 14 વર્ષ જૂના લાંચ-રૂશ્વત કેસમાં કડક વલણ અપનાવતા 67 વર્ષીય પૂર્વ તલાટી મહેન્દ્ર પટેલને દોષિત ઠેરવી 2 વર્ષની સજા અને રૂપિયા 10,000નો દંડ ફટકાર્યો છે. આ ચુકાદો જાહેર જીવનમાં વ્યાપક બનેલા ભ્રષ્ટાચાર સામે ન્યાયતંત્રની કડક નીતિનો સંકેત આપે છે. જમીનના કાગળો માટે 3000ની લાંચ લેવાનો કેસઆ કેસ વર્ષ 2011નો છે. ફરિયાદી પોતાની પત્નીના નામે ખરીદેલી જમીનનું નામ ઈ-ધારા પદ્ધતિમાં ચઢાવવા માટે અરજી કરી હતી. આ અરજીનો નિકાલ કરવાના બદલામાં તલાટી મહેન્દ્ર પટેલે ફરિયાદી પાસે રૂપિયા 3,000ની લાંચની માંગણી કરી હતી. મહેન્દ્ર પટેલ લાંચની રકમ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. લાંબી ન્યાયિક પ્રક્રિયા બાદ આજે કોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો જાહેર કર્યો છે. સરકારી પક્ષે એપીપી વિશાળ ફળદુએ મજબૂત દલીલો રજૂ કરી હતી. ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા માટે કડક કાર્યવાહી બચાવ પક્ષ દ્વારા આરોપી વૃદ્ધ છે, બીમાર છે અને કિડની ફેઇલ હોવા જેવી દલીલો રજૂ કરવામાં આવી હતી. જોકે, કોર્ટે આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા આરોપીને યોગ્ય સજા કરવી જરૂરી માની હતી. કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ નોંધ્યું હતું કે આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે અને તેને ડામવા માટે કડક કાર્યવાહી અનિવાર્ય છે. ભ્રષ્ટાચાર સંસ્થાકીય માળખાને નુકસાન પહોંચાડે છેઆ ચુકાદા સાથે કોર્ટે ભ્રષ્ટાચારના સામાજિક અને રાજકીય માળખા પર થતા નુકસાન અંગે ગંભીર ટિપ્પણી કરી હતી, જે આ ચુકાદાનો મુખ્ય હિસ્સો બની છે. કોર્ટે નોંધ્યું કે, આજે આપણા દેશમાં ભ્રષ્ટાચાર માત્ર શાસન માટે ગંભીર ખતરો જ નથી, પરંતુ ભારતીય લોકશાહી અને કાયદાના શાસનના પાયાને પણ જોખમમાં મૂકે છે. ભ્રષ્ટાચારનું કેન્સર વ્યાપકપણે ફેલાઈ ગયું છે અને તે સંસ્થાકીય માળખાને પણ નુકસાન પહોંચાડે છે. તે વિકાસને અવરોધે છે અને ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ જેવા બંધારણીય મૂલ્યોને નબળી પાડે છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 9:55 pm

ઝાંઝરડા ચોકડી બની 'સ્પા ચોકડી'!:​જાહેરનામા ભંગ બદલ જૂનાગઢના 9 સ્પા ધારકો સામે FIR: પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી

​જૂનાગઢ જેવા નાના શહેરમાં પણ હવે ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો ગોરખ ધંધો દિવસેને દિવસે વધી રહ્યો છે. ગુજરાતના ઘણા મોટા શહેરોમાં અગાઉ સ્પાની આડમાં ચાલતા કુટણખાના પકડાયા હોવાના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને, જૂનાગઢ બી ડિવિઝન પોલીસે શહેરમાં બિલાડીના ટોપની જેમ ઉગી નીકળેલા સ્પા વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે. જૂનાગઢ રેન્જના આઈજી જનિલેશ જાજડીયા, એસપી સુબોધ ઓડેદરાની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસે સ્પાનું સઘન ચેકિંગ કરવા માટે એક સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. પીઆઈ જે.જે.પટેલની સૂચનાના આધારે અધિકારીઓ અને કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવીને પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સ્પા સેન્ટરોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન સ્પાના રજિસ્ટર, સીસીટીવી કેમેરા અને ત્યાં કામ કરતા બહારના રાજ્યના લોકોની વિગતોની તપાસ કરવામાં આવી હતી. તપાસના અંતે, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામા ભંગ બદલ ભારતીય ન્યાય સહિતા 2023ની કલમ-223 મુજબ કુલ 9 ગુના રજીસ્ટર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરાયેલા મોટાભાગના સ્પા જૂનાગઢની ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં આવેલા છે, જેના કારણે આવનાર સમયમાં આ વિસ્તાર હવે 'સ્પા ચોકડી' તરીકે જાણીતો બને તો પણ નવાઈ નહીં. જુનાગઢ બી ડિવિઝન પોલીસ દ્વારા ઝાંઝરડા ચોકડી નજીક આવેલ રોઝેટ ધ ફેમિલી સ્પા, ડીલાઇટ ફેમીલી સ્પા, ધ પ્રીમિયમ ફેમિલી સ્પા અને ફેમીલી સ્પા ,પ્લેટીનીયિ સ્પા અને ફીલગુડ ધ ફેમિલી સ્પા, તેમજ ડોલ્ફીન ફેમીલી સ્પા માલિકો સામે જાહેરનામાના ભમનો ગુનો નોંધવામાં આવ્યો છે. ​જૂનાગઢ બી ડિવિઝન પોલીસે સ્પા ધારકો વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરીને સારી કામગીરી કરી છે. જો આ જ રીતે ઝાંઝરડા રોડ અને અન્ય વિસ્તારોના સ્પામાં અચાનક રેડ કરવામાં આવે તો ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓ પણ ઝડપાઈ શકે છે. આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ. એસ.એ.સાંગાણી, પોલીસ સબ ઇન્સ. એમ.આર.ઝાલા, પોલીસ સબ ઇન્સ. કે.એમ.વાઢેર અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે યોગદાન આપ્યું હતું. ​

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 9:53 pm

ધ્રાંગધ્રામાં યુવકની હત્યા કરનાર આરોપી ઝડપાયો:પોલીસે અલગ અલગ ટીમો બનાવી દુદાપુર ગામથી આરોપીને ઝડપી પાડ્યો, ગુનામાં વપરાયેલી છરી પણ કબજે કરી

ધ્રાંગધ્રા તાલુકાના રામદેવપુર ગામના સીમ વિસ્તારમાં થયેલી હત્યાના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી ચંદ્રકાંત ઉર્ફે અશોક નગવાડીયાની દુદાપુર નજીકથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ગુનામાં વપરાયેલી છરી પણ કબજે કરી છે. આ કેસમાં મનસુખ ઉર્ફે વિપુલ મુલાડીયા નામના વ્યક્તિની હત્યા થઈ હતી. આરોપી ચંદ્રકાંત ઉર્ફે અશોક નગવાડીયાએ પોતાની પાસે રહેલી છરી વડે મનસુખના શરીર પર ઘા મારી તેમનું મોત નીપજાવ્યું હતું. ઘટના બાદ આરોપીનો મોબાઈલ ફોન બંધ આવતો હતો. જેથી ધ્રાંગધ્રા તાલુકા પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગામો, હોટલો અને હાઈવે પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. મોડી રાત્રે દુદાપુર ગામની નજીક આવેલા એક મંદિર પાસેથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનામાં વપરાયેલી છરી ઘટના સ્થળથી થોડે દૂર ફેંકી દીધી હોવાનું જણાવ્યું હતું. આરોપીએ બતાવેલી જગ્યાએથી પોલીસે છરી કબજે કરી વધુ પુરાવા એકત્ર કર્યા છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 9:50 pm

મુંબઈ-ભગત કી કોઠી વચ્ચે નવી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન શરૂ:પશ્ચિમ રેલવેએ મુસાફરોની માંગને ધ્યાને રાખીને 10 ડિસેમ્બરથી શરૂ કરી AC સુવિધા સાથેની ટ્રેન, 9 ડિસેમ્બરથી બુકિંગ શરૂ

રેલવેમાં મોટાભાગના લોકો મુસાફરી કરતા હોય છે..ત્યારે મુંબઈ અને રાજસ્થાન વચ્ચે મુસાફરી કરનારા મુસાફરો માટે પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ સેન્ટ્રલ અને ભગત કી કોઠી વચ્ચે નવી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ટ્રેન ખાસ કરીને મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે. જેથી મુસાફરોને હવે રાહત મળી રહેશે. ટ્રેન નંબર 09083 મુંબઈ સેન્ટ્રલથી દર બુધવારે રાત્રે 11:10 વાગ્યે નીકળશે અને બીજા દિવસે સાંજે 5 વાગ્યે ભગત કી કોઠી પહોંચશે. આ ટ્રેન 10 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2025 સુધી ચાલશે. તે જ રીતે, ટ્રેન નંબર 09084 ભગત કી કોઠીથી દર શુક્રવારે સવારના 11:30 વાગ્યે નીકળશે અને બીજા દિવસે વહેલી સવારમાં 4:20 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન 12 ડિસેમ્બર 2025 થી 2 જાન્યુઆરી 2026 સુધી ચાલશે. આ સ્પેશિયલ ટ્રેન બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, સુરત, ભરુચ, વડોદરા, સાબરમતી, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલણા, મારવાડ, પાલી મારવાડ અને લૂણી સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી-2 ટિયર, એસી-3 ટિયર અને એસી-3 ટિયર ઇકોનોમી કોચની સુવિધા રહેશે. આ ટ્રેન માટેની બુકિંગ 9 ડિસેમ્બર 2025 થી તમામ રેલવે PRS કાઉન્ટર અને IRCTC વેબસાઈટ પર શરૂ થશે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 9:50 pm

રાજકોટ ક્રાઈમ ન્યૂઝ:નવાગામમાં વી.કે. જ્વેલર્સમાં રૂ.11.10 લાખની ગોલ્ડ ડસ્ટ ચોરી જતા 4 શખ્સો દિલ્હીથી ઝડપાયા

નવાગામમાં વી.કે. જ્વેલર્સમાં થયેલી રૂ.11.10 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો હતો અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચાર તસ્કરની ધરપકડ કરી મુદામાલ રિકવર કરવાં તજવીજ હાથ ધરી હતી. જ્યારે વધુ ત્રણ તસ્કરની શોધખોળ હાથ ધરી છે.પેડક રોડ પર ગાંધી સ્મૃતિ સોસાયટી-02 શેરી નં-01 માં રહેતાં રાહુલભાઇ જયંતીલાલ મજેવડિયા (ઉ.વ. 35) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.3 ના વી.કે. જ્વેલર્સમાં પ્રા.લી.ની ગોલ્ડ રીફાઇનરી આદીત્ય પાર્ક પ્લોટ નં-16 નવાગામ (આણંદપર) ખાતે ચોરી થઈ હતી. જેમાં રિફાઇનરીમાં ગત તા.02 ના આવેલ ગોલ્ડની રજ (ધુળ મિશ્રીત) 12 બેગ અને 02 ચોકી (ટ્રે) જોવામાં આવતી ન હતી. બાદમાં તેઓએ સીસીટીવી કેમેરા ચેક કરતા તા.03 ના રાત્રીના આશરે 12 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા 3 શખ્સો પાછળના દરવાજેથી રૂમમાં અંદર આવેલ અને રૂ.11.10 લાખનું ગોલ્ડ ડસ્ટ ચોરી કરી નાસી છુટતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગે કુવાડવા રોડ પોલીસમાં ગુનો નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચે ઉતરપ્રદેશના રાહુલ આત્મારામ બીંદ (ઉ.વ.23, મજૂરીકામ), મોનુ ધર્મેન્દ્રભાઈ નિશાદ ઉ.વ.21, ખેતીકામ), શીવમ સૂબેદાર નિશાદ (ઉ.વ.22, મજુરીકામ) અને સુનીલકુમાર આશાસમ નિશાદ (ઉ.વ.29, મજુરીકામ) ને દિલ્હીથી ઝડપી પાડ્યા છે. જ્યારે ચોરીમાં સંડોવાયેલા 3 શખ્સોની શોધખોળ યથાવત રાખી છે. 11 કિલો ગાંજાના કેસમાં ઝડપાયેલા 2 ડ્રગ્સ પેડલર અમદાવાદ - વડોદરા જેલમાં ધકેલાયા રાજકોટ સહિત ગુજરાતભરમાંથી ડ્રગ્સના દુષણને અટકાવવા એસઓજી મેદાને પડી છે. આજ સુધીમાં પીઆઈટી એક્ટ હેઠળ અનેક શખ્સોના અટકાયતી પગલાં લઇ જેલના સળિયા પાછળ ધકેલી બાદ આ કામગીરી અવિરત ચાલુ હોય તેમ જંગલેશ્વર વિસ્તારના વધુ બે શખ્સોની પીઆઈટી એક્ટ હેઠળ અટકાયત કરી અલગ અલગ જેલમાં ધકેલી દેવા એસઓજીએ તજવીજ હાથ ધરી છે.રાજકોટને ડ્રગ્સના દુષણમાંથી દૂર કરવા તેમજ જંગલેશ્વર વિસ્તારમાં નશાનો વેંપલો મોટાપાયે ચાલતો હોય ત્યારે નશાના દુષણને ડામવા દાનિશ હનીફ કંડિયા (ઉવ 23 રહે. જંગલેશ્વર મેઈન રોડ, હુશેની ચોક) અને હબીબ હારૂન ખિયાણી (ઉવ 23 રહે. જંગલેશ્વર શેરી નં.-8, હુશેની ચોક) વિરુદ્ધ પીઆઈટી એક્ટ હેઠળ દરખાસ્ત તૈયાર કરી સીઆઈડી ક્રાઇમના વડાને મોકલવામાં આવી હતી. જે દરખાસ્તને મંજૂર કરતાં એસઓજીએ દાનિશને અમદાવાદ મધ્યસ્થ જેલ જયારે હબીબને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે ધકેલી દેવા તજવીજ હાથ ધરી હતી. ગત તા.14-02 ના ભક્તિનગર પોલીસની ટીમે જંગલેશ્વર શેરી નં.-9 પાસેથી એકસેસ સ્કૂટરના ચાલકને અટકાવી તેની પાસે હાજર થેલાની ઝડતી કરતા તેમાંથી રૂ. 1.10 લાખની કિંમતનો 11 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જે ગાંજો હિન્દીભાષી શખ્સ પાસેથી લઇ હબીબ હારુન ખિયાણીને આપવાનું દાનિશ કંડિયાએ સગીરને કહ્યું હતું. જેમાં બંનેનું નામ ખુલ્યા બાદ એસઓજીએ બંનેના અટકાયતી પગલાં લીધા હતા. જૂની અદાવતમાં આધેડને 4 શખ્સોએ માર માર્યો આજીડેમ ચોકડી નજીક માંડાડુંગરમાં રઘુનંદનપાર્ક બ્લોક નં.175 માં રહેતા 46 વર્ષીય પ્રૌઢ અનીલભાઇ કાનજીભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે દિપક શાંતિ ઓડવિયા, મનોજ કાના ગોહેલ, સોનુ જીગ્નેશ નવાપરિયા અને વિમલ જીગ્નેશ નવાપરીયાનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ સંતકબીર રોડ ખાતે ઈમીટેશનનુ કામ કરે છે. ગત તા.06 ના રોજ રાત્રીના આઠ વાગ્યે તેઓ પરીવાર સાથે ખોખડદડ ગામ પહેલા આવતા રાધેશ્યામ પાર્ટી પ્લોટ ખાતે મામાના દિકરા પંકજભાઈ મુકેશભાઈ ગોહેલના લગ્નનુ રીસેપ્સન રાખેલ હોય ત્યાં ગયો હતો.તે વખતે જમીને ત્યાં ગેઇટની નજીક પહોંચતા અગાઉ જેની સાથે ઝઘડો થયેલ અને જેમની સામે કેસ કરેલો તે દિપક ઓડવીયા, મનોજ ગોહેલ, સોનુ નવાપરીયા તથા વિમલ નવાપરીયાએ હતા ત્યારબાદ ચારેય શખ્સોએ માથે-શરીરે ઢીકાપાટુનો માર માર્યો હતો. જે બાદ દીપકે જતા-જતા કહેલ કે, આજે તો આ લોકોએ તને બચાવી લિધેલ છે પણ હવે અમને તુ ક્યાંક સામે મળીશ તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. બાદમાં પ્રૌઢને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મોરબી રોડ જકાતનાકેથી દંપતીના રૂ.84 હજાર સેરવી લેનાર રીક્ષાગેંગનો સૂત્રધાર ઝડપાયો મોરબી રોડ પર જકાતનાકેથી વાંકાનેરના દંપતીને રિક્ષામાં બેસાડી નજર ચૂકવી રૂ. 84 હજારની રોકડ સેરવી લેનાર રીક્ષાગેંગના સૂત્રધારને પેરોલ ફર્લો સ્કોડની ટીમે ઝડપી પાડ્યો હતો. મુસાફરોને નિશાન બનાવતી ગેંગના સૂત્રધાર અરવિંદ કુવરીયાને ઝડપી બી ડિવિઝન પોલીસના હવાલે કરાયો હતો. પેરોલ ફર્લો સ્કવોડે બાતમીના આધારે બી ડિવિઝન પોલીસ મથકના ગુનામાં નાસતા ફરતા આરોપી અરવિંદ રાજુભાઈ કુંવરીયા(ઉવ 35 રહે. વિશ્વકર્મા સોસાયટી પાસે ઝૂંપડપટ્ટીમાં, ગોંડલ ચોકડી)ને ઝડપી લીધો હતો. દારૂ પી વાહન ચલાવતા 13, છરી સહિતના હથિયારો સાથે 8 ઝડપાયા શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળે નહીં તે માટે શહેર પોલીસ દ્વારા રાત્રિના ચેકિંગ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે ત્યારે ગત રાત્રિના શહેર પોલીસ દ્વારા શહેરના અલગ અલગ ટ્રાફિક પોઇન્ટ પર ચેકિંગ ડ્રાઈવ રાખવામાં આવી હતી. પોલીસની આ ચેકિંગ ડ્રાઇવ દરમિયાન દારૂ પી વાહન લઇને નીકળેલા 13 વાહન ચાલકોને ઝડપી લેવાયા હતા આ ઉપરાંત છરી સહિતના હથિયારો સાથે રાખી ફરતા 8 શખસોને પોલીસે ઝડપી લઇ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ સાથે જ શહેર પોલીસે ગઈકાલે ડ્રાઇવ દરમિયાન અલગ અલગ સ્થળે દરોડા પાડી દેશી દારૂના જથ્થા સાથે 11 શખસોને ઝડપી લઇ તેની સામે પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પરિવાર દીકરીની સગાઈ નક્કી કરવા ગયો અને પિતા ઝેરી દવા પી જતા સારવારમાં મોત પરેશભાઈ ઉર્ફે હરેશભાઇ બાબુભાઈ રાઘવાણી (ઉં. વ. 45, રહે. આજીડેમ ચોકડી, ગોકુલના ગેટ પાસે, રાજકોટ)એ ગત તા.5/12ના રોજ રાત્રે 8 વાગ્યાં આસપાસ પોતાના ઘરે કોઈ કારણસર ઉંદર મારવાની ઝેરી દવા પી લીધી હતી. તેમને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમનું અહીં ચાલુ સારવારમાં તેનું મોત નીપજ્યું હતુ. આજીડેમ પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો. પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, પરેશભાઈની દીકરી રાધિકાની સગાઈ નક્કી કરવા પરિવાર જસદણ પંથકમા ગયો હતો અને પાછળથી પરેશભાઈએ આ પગલું ભરી લીધું હતુ. પરેશભાઈ બે ભાઈ એક બેનમાં વચ્ચેના અને તેમને સંતાનમાં એક પુત્રી છે. પરેશભાઈએ ભૂલથી દવા પીધી? કે આપઘાત કર્યો? તે અંગે કારણ સ્પષ્ટ ન થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બિમારીથી કંટાળી વૃધ્ધાનો ગળાફાંસો ખાઈ આપઘાત રામનાથપરાના ભવાનીનગરમાં શેરી નં. 4માં રહેતા 70 વર્ષીય લાડુબેન નારણભાઇ પરમારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવના પગલે પોલીસ દોડી ગઈ હતી. પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, લાડુબેનને સંતાનમાં 1 દીકરો અને 2 દીકરી છે. પતિ હયાત નથી તેઓ એકલા રહેતા હતા. ગઈકાલે પાડોશીને જાણ થઈ હતી કે, લાડુબેને પોતાના ઘરની ડેલીમાં ઓઢણી બાંધી ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી. પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો. વૃદ્ધા બીમાર રહેતા હોવાથી પગલું ભર્યું હોવાનું તારણ છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 9:48 pm

પાટણ સ્ટ્રોમ વૉટર પ્રોજેક્ટમાં વિલંબ:નગરપાલિકા પ્રમુખે મંત્રીને તાત્કાલિક ટેન્ડર ખોલવા રજૂઆત કરી

પાટણ નગરપાલિકાના પ્રમુખે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુ દેસાઈ સમક્ષ સ્ટ્રોમ વૉટર પ્રોજેક્ટના ટેન્ડરો ઝડપથી ખોલવા માટે લેખિત રજૂઆત કરી છે. જીયુડીસીએલ કચેરી દ્વારા હાથ ધરાયેલી ટેન્ડર પ્રક્રિયા છેલ્લા ચાર-પાંચ મહિનાથી અટકેલી છે, જેના કારણે શહેરમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા વધી છે. આ મહત્ત્વપૂર્ણ સ્ટ્રોમ વૉટર પ્રોજેક્ટ યોજનાની કામગીરીના ટેન્ડરો ખોલવામાં વિલંબ થઈ રહ્યો છે. રજૂઆતમાં જણાવાયું છે કે, જીયુડીસીએલ કચેરીએ પ્રથમ પ્રયત્નમાં ટેન્ડરનું રી-ટેન્ડર કર્યું હતું. બીજી વખતના ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થયાને આશરે ચારથી પાંચ મહિના વીતી ગયા હોવા છતાં, ટેન્ડર ખોલવાની પ્રક્રિયા હજી સુધી પૂર્ણ થઈ નથી. પ્રમુખે મંત્રીનું ધ્યાન દોર્યું હતું કે, જો ટેન્ડર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય અને કામગીરી શરૂ થાય, તો શહેરને આગામી ચોમાસા પહેલા આ સ્ટ્રોમ વૉટર યોજનાનો લાભ મળી શકે છે. વરસાદી પાણી ભરાવવાની સમસ્યાને કારણે પ્રજાજનો તરફથી વારંવાર રજૂઆતો મળી રહી છે. તાજેતરમાં, 19 નવેમ્બર, 2025ના રોજ સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત પદયાત્રા દરમિયાન નોરતા ગામેથી અંબાજીનગર ચોકડી પાસે આવેલી માહી રેસિડેન્સી અને આજુબાજુના વિસ્તારની મહિલાઓએ સ્થાનિક નગરપાલિકાના પ્રમુખ અને પદાધિકારીઓને ઘેરીને વરસાદી પાણી ભરાવવાની સમસ્યા મામલે વિરોધ દર્શાવ્યો હતો. ટેન્ડર ખોલવામાં થઈ રહેલી આ ઢીલાશના કારણે સરકાર અને નગરપાલિકાની કામગીરી સામે પ્રજામાં સવાલો ઊભા થઈ રહ્યા છે. આથી, નગરપાલિકા પ્રમુખે મંત્રીને તાત્કાલિક આ ટેન્ડર ખોલાવવા માટે ભલામણ કરવા વિનંતી કરી છે, જેથી ચોમાસા પહેલા કામગીરી શરૂ થઈ શકે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 9:44 pm

સુરતમાં 'મતદાર યાદી સુધારણા ઝુંબેશ':ડિજિટાઈઝેશનની 100% પ્રક્રિયા પૂર્ણ, 12,68,986 મતદારોના ફોર્મ્સ 'અનકલેક્ટેડ' રહ્યા

સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હેઠળ સુરત જિલ્લામાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે. જોકે, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ. સૌરભ પારધીએ આપેલી માહિતી મુજબ, સુરત જિલ્લાની 16 વિધાનસભા બેઠકોમાં SIR ડિજિટાઈઝેશનની 100% પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. કુલ 48,73,512 મતદારો પૈકી, 73.68% એટલે કે 35,90,896 મતદારોના ફોર્મ પરત આવ્યા છે અને તેમનો સમાવેશ ફાઈનલ ડ્રાફ્ટ યાદીમાં થશે. 12,68,986 મતદારોના ફોર્મ્સ 'અનકલેક્ટેડ' રહ્યાજોકે, આ કામગીરીમાં એક મોટો પડકાર સામે આવ્યો છે. બાકીના 25.9% એટલે કે 12,68,986 મતદારોના ફોર્મ્સ 'અનકલેક્ટેડ' રહ્યા છે. આ મતદારોના ફોર્મ અવસાન, કાયમી સ્થળાંતર અથવા ગેરહાજર સહિતના વિવિધ કારણોસર પરત મળ્યા નથી, જેથી તેમને ASD કેટેગરીમાં નોંધવામાં આવ્યા છે. ફોર્મ પરત ન આપનાર આ 12,68,986 મતદારોની વિધાનસભા વાઈઝ યાદી સુરત કલેક્ટર કચેરીની વેબસાઈટ https://surat.nic.in/sir-list-of-absent-shifted-dead-voters-of-surat-district/ પર જાહેર કરવામાં આવી છે. 8,70,958 મતદારો કાયમી સ્થળાંતર કરી ગયાકલેક્ટરે ASD કેટેગરીમાં સમાવેશ થયેલા મતદારોના આંકડાકીય વિગતો પણ આપી હતી. કુલ 12,68,986 ASD મતદારો પૈકી, 1,45,460 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 8,70,958 મતદારો કાયમી સ્થળાંતર કરી ગયા છે. આ ઉપરાંત, 1,29,346 મતદારો એવા છે જેઓ મળી આવ્યા નથી. આ મોટી સંખ્યામાં ફોર્મ પરત ન આવવાથી તેમના નામો મતદારયાદીના ડ્રાફ્ટમાંથી નીકળી જવાની સંભાવના છે, જોકે નાગરિકોને તેમનો મત આપવાનો અધિકાર જાળવી રાખવા માટે છેલ્લી તક આપવામાં આવી છે. 9, 10 અને 11 ડિસેમ્બરે BLO પાસે પોતાના ફોર્મ જમા કરાવી શકે છેજિલ્લા ચુંટણી અધિકારીએ મતદારોને અપીલ કરી હતી કે જો કોઈ મતદારનું નામ નીકળી ગયું હોય અને તેમણે હજુ સુધી ફોર્મ જમા ન કરાવ્યું હોય, તો તેઓ આગામી 9, 10 અને 11 ડિસેમ્બર એમ ત્રણ દિવસમાં BLO પાસે પોતાના ફોર્મ જમા કરાવી શકે છે. ખાસ કરીને, જે મતદારોના ફોર્મ પરત આવ્યા નથી, તેમના માટે તા. 10/12/2025ના રોજ સંબંધિત મતદાન મથકો પર સવારના 10 થી સાંજના 5 વાગ્યા સુધી BLO ઉપસ્થિત રહેશે. મતદારો ફોર્મ નંબર 6 ભરીને ફરી પોતાનું નામ યાદીમાં ઉમેરી શકશેડૉ. પારધીએ વધુમાં જણાવ્યું હતું કે જો આ સમયગાળામાં ફોર્મ પરત નહીં આવે તો ડ્રાફ્ટ યાદીમાંથી નામ નીકળી જશે. જોકે, મતદારો પાસે વધુ એક તક પણ ઉપલબ્ધ રહેશે. તા. 16મી ડિસેમ્બરે ફાઇનલ યાદી પ્રસિદ્ધ થયા બાદ પણ મતદારો ફોર્મ નંબર 6 ભરીને ફરીવાર પોતાનું નામ મતદાર યાદીમાં ઉમેરી શકશે. આ ઝુંબેશનો ઉદ્દેશ મતદાર યાદીને શક્ય તેટલી ભૂલરહિત અને અદ્યતન બનાવવાનો છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 9:36 pm

ગુજરાતના 2.40 લાખ બાળકોએ અધવચ્ચે જ શિક્ષણ છોડ્યું:શિક્ષણ પાછળ 2199 કરોડ વાપર્યા પછી પણ તળિયે, ડ્રોપઆઉટ રેટમાં 341 ટકાનો વધારો નોંધાયો

શું ગુજરાતનું શિક્ષણ ભાજપના વખણાતા ‘ગુજરાત મોડેલ’ના ભાર નીચે કચડાઈ ગયું? સંસદમાં ગતરોજ રજૂ કરવામાં આવેલા આંકડાઓનો હવાલો આપીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ સરકાર પર પ્રહાર કર્યો છે. કેન્દ્ર સરકારે આપેલ આંકડા મુજબ ગુજરાતમાં 2.40 લાખ જેટલા બાળકોએ અધવચ્ચે જ સ્કૂલ છોડી દીધી છે., જેમાં 1.05 લાખથી વધુ કિશોરીઓ પણ સામેલ છે. ₹2199 કરોડથી વધુનું જંગી બજેટ ખર્ચવા છતાં ડ્રોપઆઉટ રેટ આસમાને પહોંચ્યો છે. એક જ વર્ષમાં સ્કૂલ ડ્રોપઆઉટની સંખ્યામાં 341%નો વધારો સરકાર પર આક્ષેપ કરતાં કઠવાડિયા કહે છે કે, રાજ્યનું શિક્ષણતંત્ર પડી ભાંગ્યું છે. ભાજપ સરકાર વિકાસના નામે માત્ર આંકડાઓની માયાજાળ રચે છે. જે રાજ્યની સરકાર એક જ વર્ષમાં સ્કૂલ ડ્રોપઆઉટની સંખ્યામાં 341%નો વધારો થવા દે, તે રાજ્ય 'વિકાસ' નહીં, પણ 'વિનાશ'ના પંથે છે. સત્તાવાર ડેટાની સરખામણી કરીએ તો વર્ષ 2024-25માં સ્કૂલ ડ્રોપઆઉટનો આંકડો 54,451 હતો, જે વર્ષ 2025-26માં વધીને 2,40,809 થઈ ગયો. ટકાવારી મુજબ 341 ટકાનો ઊછાળો આવ્યો. ગુજરાત રાજ્યએ સ્કૂલ ડ્રોપઆઉટમાં દેશમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો વધુમાં તેઓએ જણાવ્યું કે, સરકારના બેટી પઢાઓના નારા હેઠળ હાલ 1,05,020 કિશોરીઓએ અધવચ્ચે જ સ્કૂલ છોડી દીધી. આંકડાકીય માહિતી મુજબ દેશમાં સૌથી વધુ સ્કૂલ ડ્રોપઆઉટ કિશોરીઓ ગુજરાતમાં છે. વર્ષ 2025-26માં ગુજરાત રાજ્યએ 2.4 લાખ સ્કૂલ ડ્રોપઆઉટ બાળકો સાથે દેશમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. ગુજરાત પછી આસામ (1,50,906) અને ઉત્તર પ્રદેશ (99,218) આવે છે. દેશના ડ્રોપઆઉટ બાળકોની કુલ સંખ્યામાંથી 28%થી વધુ બાળકો ગુજરાતથી આનાથી સ્પષ્ટ થાય છે કે, શિક્ષણ ક્ષેત્રે ગુજરાત આજે પછાત રાજ્યોની હરોળમાં નહીં પણ સૌથી ખરાબ સ્થિતિમાં પહોંચી ગયું છે. ભારત દેશમાં સ્કૂલ ડ્રોપઆઉટ બાળકોની કુલ સંખ્યામાંથી 28%થી વધુ બાળકો ગુજરાતથી છે. ભારતમાં કુલ સ્કૂલ ડ્રોપઆઉટનો આંકડો 8,49,991 છે. 2199 કરોડનું બજેટ ખર્ચાયું છતાં બાળકો સ્કૂલ છોડી રહ્યા છેસમગ્ર શિક્ષા યોજના હેઠળ ફાળવાયેલા જંગી ભંડોળનો ઉલ્લેખ કરીને ગેરવહીવટનો સ્પષ્ટ આક્ષેપ કર્યો છે. વર્ષ 2024-25 ખર્ચ મુજબ ગુજરાત રાજ્યનો સમગ્ર શિક્ષા યોજના હેઠળ કુલ ખર્ચ 219984.75 લાખ એટલે 2199 કરોડથી વધુ રકમ થાય છે ત્યારે આટલા મોટા બજેટ છતાં ડ્રોપઆઉટનો ગ્રાફ કેમ આસમાને પહોંચ્યો? 2199 કરોડનું બજેટ શિક્ષણને મજબૂત કરવા માટે ખર્ચાયું છતાં બાળકો સ્કૂલ છોડી રહ્યા હોય, શિક્ષકોની જગ્યા ખાલી હોય અને વર્ગખંડોની ઘટ હોય, તો આ બજેટ ક્યાં 'ખર્ચ' થયું? આ પૈસા ક્યાંક બીજે જઈ રહ્યા છે, જે સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર અને નાણાકીય ગેરવહીવટ સૂચવે છે. સખત મોનીટરિંગ સાથેનું 'મિશન પુનઃપ્રવેશ' અભિયાન તાત્કાલિક શરૂ કરવું આ માત્ર વહીવટી નિષ્ફળતા નથી. આ 2.4 લાખ બાળકોના ભવિષ્યને બરબાદ કરવા બદલ સરકારની ગુનાહિત બેદરકારી છે. સરકારે સમગ્ર શિક્ષા યોજના હેઠળ ખર્ચાયેલા 2199 કરોડ સહિતના તમામ ભંડોળનો એક-એક પૈસાનો વિગતવાર હિસાબ આપતું શ્વેતપત્ર (White Paper) તાત્કાલિક જાહેર કરવું જોઈએ. 2.4 લાખ બાળકોને શાળામાં પાછા લાવવા માટે, સખત મોનીટરિંગ સાથેનું 'મિશન પુનઃપ્રવેશ' અભિયાન તાત્કાલિક શરૂ કરવું જોઈએ. ગુજરાતના યુવાનોનું ભવિષ્ય ભાજપના શાસનમાં અંધકારમાં ધકેલાઈ રહ્યું છે. કોંગ્રેસ પક્ષ આ 2.40 લાખ ડ્રોપઆઉટના મુદ્દે ભાજપના 'શિક્ષણ કૌભાંડ'નો હિસાબ લેશે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 9:34 pm

રાજકોટ સમાચાર:રાજકોટમાં કટારિયા ચોકડી પાસે લોકોનો રસ્તા, પાણી, ગટરના મુદ્દે ચક્કાજામ

રાજકોટનાં કાલાવડ રોડ પર આવેલી કટારિયા ચોકડી નજીક રહેતા સ્થાનિકોએ રસ્તા, પીવાના પાણી, ગટર અને સ્ટ્રીટ લાઈટ સહિતની પ્રાથમિક સુવિધાઓના અભાવના મુદ્દે ફરી એકવાર રસ્તા પર ઉતરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આજે સાંજે આ વિસ્તારના લોકોએ રસ્તો રોકીને ચક્કાજામ કરતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ વિસ્તારમાં સૂચિત અને સરકારી જગ્યાઓ પર મોટા પ્રમાણમાં દબાણ અને ઝૂંપડા ઊભાં થયાં છે, જે સમસ્યાને વધુ જટિલ બનાવે છે. લગભગ 1 મહિના પહેલાં પણ આ જ સ્થળે સ્થાનિકોએ ચક્કાજામ કરીને પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો. આજે પણ લોકો દ્વારા વિરોધ અંગેની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે વિરોધ કરી રહેલા સ્થાનિકોને સમજાવટથી શાંત પાડ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો, વહીવટીતંત્ર ઝડપથી આ વિસ્તારની મૂળભૂત સુવિધાઓની સમસ્યાનું નિરાકરણ લાવે તેવી સ્થાનિકોની માગ છે. માર્કેટ યાર્ડ ફરી મગફળીથી છલકાયું: સતત બીજી વખત બે લાખ મણની આવક રાજકોટ માર્કેટ યાર્ડમાં ખરિફ સિઝનની જમાવટ થઈ છે. અને ચિકકાર માલ ઠલવાઈ રહ્યો છે. મગફળી જેવી જણસીઓએ નિકાસ પણ થતો નથી અને કિસાનોએ માલ વેચવા માટે લાઈનમાં ઉભા રહેવું પડતુ હોય છે અને વારો આવવાની પ્રતિક્ષા કરવી પડે છે. આજે રાજકોટ યાર્ડ ફરી મગફળીથી છલકાયું હતું. સતત બીજી વખત બે લાખ મણથી વધુની આવક થઈ હતી. સંકુલમાં ચારે બાજુ મગફળીનાં ઢગલા ઢગલા હતા.હરરાજીમાં 1010 થી 1390 સુધીના ભાવ પડયા હતા. જ્યારે કપાસની 25000 મણ આવક હતી અને ભાવ 1325 થી 1548 નો પડયો હતો. સોયાબીનમાં 6000 મણની આવકે ભાવ 830 થી 875 હતા. લસણમાં 3600 મણ, ઘઉંમાં 4500 મણ, શિંગફાડામાં 21000 મણ, મગમાં 3000 મણ, તલમાં 9000 મણ તથા જીરૂમાં 4200 મણની આવક હતી. ચૂંટણી વર્ષમાં વધુ એક બજેટ રજૂ કરવા શાસકોને તક, તૈયારીઓ શરૂ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલુ હોવાથી મહાનગરપાલિકાઓની ચૂંટણી પાછી ઠેલાઈ છે. ચૂંટણી પંચ દ્વારા આખરી મતદાર યાદી 14 ફેબ્રુઆરીએ પ્રસિદ્ધ થવાની હોવાથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એપ્રિલ કે મે માસમાં યોજાય તેવી શક્યતા છે. જેને લઈ રાજકોટ મનપામાં પદાધિકારીઓની મુદ્દત 11 માર્ચના રોજ પૂર્ણ થયા બાદ કોર્પોરેશનમાં બે થી ત્રણ મહિના વહીવટદાર આવે તેવી સંભાવના છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, 2026-27 નું બજેટ વર્તમાન બોડી જ મંજૂર કરશે તે નિશ્ચિત બન્યું છે. નિયમ મુજબ, 20 ફેબ્રુઆરી સુધીમાં જનરલ બોર્ડમાં બજેટ મંજૂર કરી દેવું પડે છે. તેથી, હિસાબી શાખા દ્વારા આજથી બજેટલક્ષી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તમામ શાખાઓને ખર્ચ અને આવકના આંકડાઓ આપવાની પ્રાથમિક સૂચના અપાઈ છે. આ વર્ષે ચૂંટણી નજીક હોવાથી બજેટમાં અનેક આકર્ષક યોજનાઓ મૂકવામાં આવે તેવી પણ શક્યતા છે. વર્તમાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર આ વખતે બીજી ટર્મમાં સળંગ ત્રીજું બજેટ મંજૂર કરશે. અટલ સરોવર નજીક બ્રહ્મસમાજનું સંમેલન યોજાયું, હજારો ભૂદેવો હાજર રહ્યા રાજકોટનાં અટલ સરોવર નજીક ગઈકાલે બ્રહ્મદેવ સમાજનાં નેજા હેઠળ બ્રાહ્મણોનું એક રાજય કક્ષાનું સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં રાજયભરમાંથી 20 હજાર જેટલા ભુદેવોએ હાજરી આપી હતી.અને સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત રાજયભર માંથી 34 જિલ્લામાંથી આવેલા બ્રહ્મ સમાજનાં આગેવાનો મિલન શુકલ, જયદેવ જોશી છેલભાઈ જોશી, જીગરભાઈ મહેતા, સહિતના 254 તાલુકાનાં આગેવાનો એ એકી અવાજે, જણાવ્યું હતું કે દરેક રાજકિય પક્ષો દ્વારા રાજકિય અને સામાજીક રીતે ભુદેવોની અવગણના થાય છે. જે હવે સહન કરાશે નહી. સરકારે બ્રાહ્મણોની લાગણીને સમજી અને પૂરતો ન્યાય કરવો પડશે આગેવાનોએ એવુ પણ જણાવ્યું હતું કે ટુંક સમયમાં મહાપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે આ ચૂંટણીમાં રાજકિય પક્ષોએ બ્રહ્મ સમાજને પૂરતુ પ્રતિનિધિત્વ આપવુ પડશે. બ્રહ્મદેવ સમાજના રાષ્ટ્રિય સચિવ મિલનભાઈ શુકલએ જણાવ્યું હતું કે આ સંમેલન કોઈ રાજકિય હેતુ માટે યોજાયું નથી ખાસ કરીને થઈ રહેલી અવગણના સામે બ્રહ્મ સમાજને એક કરવાનાં હેતુથી આ સંમેલન યોજવામાં આવ્યું હતું. આ તકે બ્રહ્મ અગ્રણી પંકજભાઈ રાવલે, પણ જણાવ્યું હતું કે સતાધીશો એ બ્રહ્મ સમાજની લાગણીની નોંધ લેવી જોઈએ. છતા સતાધીશો કે અન્ય રાજકિય પક્ષો અમારી અવગણના ચાલુ રાખશે તો હવે સમાજ સહન કરશે નહીં. 14 ડિસેમ્બરથી 26 જાન્યુઆરી સુધી ઓખા ભાવનગર સાપ્તાહિક ટ્રેન રાજકોટથી ઉપડશે 14 ડિસેમ્બરથી 26 જાન્યુઆરી સુધી ઓખા-ભાવનગર એક્સપ્રેસ અઠવાડિયામાં 4 દિવસ રાજકોટથી શરૂ થશે. ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસ સ્ટેશન યાર્ડમાં પિટ લાઇન નંબર-2ના મરામત કાર્ય માટે બ્લોક લેવામાં આવ્યો છે. તેના કારણે રાજકોટ ડિવિઝન મારફતે પસાર થતી કેટલીક ટ્રેનોના સંચાલન પર આગામી 45 દિવસ સુધી અસર પડશે. રદ્દ કરવામાં આવનાર ટ્રેનોમાં ટ્રેન નંબર 59228/59233 ભાવનગર-સુરેન્દ્રનગર- ભાવનગર પેસેન્જર તારીખ 12.12.2025 થી 25.01.2026 સુધી કુલ 45 દિવસ માટે રદ્દ રહેશે. ઓખા-ભાવનગર એક્સપ્રેસતારીખ 14.12.2025 થી 26.01.2026 સુધી અઠવાડિયામાં 4 દિવસ દરેક રવિવાર, સોમવાર, બુધવાર અને ગુરુવારે ઓખાને બદલે રાજકોટ સ્ટેશનથી શરૂ થશે. આ રીતે આ ટ્રેન અઠવાડિયામાં 4 દિવસ રાજકોટથી ભાવનગર વચ્ચે ચાલશે અને ઓખા-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે. ભાવનગર-ઓખા એક્સપ્રેસતારીખ 13.12.2025 થી 25.01.2026 સુધી અઠવાડિયામાં 4 દિવસ દરેક મંગળવાર, બુધવાર, શનિવાર અને રવિવારે ભાવનગરથી ઉપાડીને રાજકોટ સ્ટેશન સુધી જ ચાલશે. આ રીતે આ ટ્રેન અઠવાડિયામાં 4 દિવસ રાજકોટ-ઓખા વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 9:25 pm

GFL કંપની બંધ કરવા કોંગ્રેસની કલેક્ટરને રજૂઆત:વારંવાર ગૅસ લીકેજ અને મોકડ્રીલના દાવા સામે કાર્યવાહીની માંગ

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર સ્થિત ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિ. (GFL) કંપનીમાં વારંવાર થતા ગૅસ ગળતરના બનાવોને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. ગત 6 ડિસેમ્બરના રોજ થયેલા ગૅસ લીકેજને કંપની દ્વારા 'મોકડ્રીલ' ગણાવાયા બાદ, પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિએ આને ગંભીર આક્ષેપ ગણાવી કંપનીને તાત્કાલિક બંધ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, 6 ડિસેમ્બર, 2023ના રોજ વહેલી સવારે કંપનીમાંથી ઝેરી ગૅસના ધુમાડા નીકળતા નાથકુવા અને જીતપુરા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગભરાયેલા ગ્રામજનો પોતાના પશુઓને છોડી બાળકોને લઈને ઘર છોડી ભાગી ગયા હતા. સ્થિતિ થાળે પડતા તેઓ પાંચથી છ કલાક બાદ પરત ફર્યા હતા. આ ઘટના બાદ કંપનીએ તેને 'મોકડ્રીલ' ગણાવી હતી. જોકે, કોંગ્રેસે આ વાતને ઉપજાવી કાઢેલી ગણાવી છે. કોંગ્રેસની દલીલ છે કે જો આ મોકડ્રીલ હોત તો જિલ્લા વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી હોવી જોઈતી હતી અને ગ્રામજનોને જાણ કરવી જોઈતી હતી. પરંતુ, વહીવટી તંત્ર આ બાબતથી અજાણ હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. કંપનીએ પોતાની ભૂલ છુપાવવા અને લોકોને ગેરમાર્ગે દોરવા આ તૂત ઊભું કર્યું હોવાનો આક્ષેપ કરાયો છે. કોંગ્રેસે રજૂઆતમાં કંપનીના ભૂતકાળની ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો છે. વર્ષ ૨૦૨૨માં થયેલા બ્લાસ્ટમાં આઠ લોકોના મોત થયા હતા, અને તાજેતરમાં 10 સપ્ટેમ્બરના રોજ પણ બે લોકોના મોત થયા હતા. આમ છતાં, તંત્ર દ્વારા કંપનીને છાવરવામાં આવતી હોવાનો સુર કોંગ્રેસે વ્યક્ત કર્યો છે. આવેદનપત્રમાં ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો તાત્કાલિક ધોરણે આ કંપની સામે કડક કાર્યવાહી કરી તેને બંધ કરવામાં નહીં આવે તો ભયભીત ગ્રામજનો કાયમી હિજરત કરવા મજબૂર બનશે. કોંગ્રેસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે લોકોના જાન-માલની સુરક્ષા માટે આ કંપની બંધ થવી અત્યંત જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 9:17 pm

'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છીએ':રોડ, ડ્રેનેજ લાઈન મુદ્દે ભાજપના મહિલા MLA સામે સ્થાનિકોમાં રોષ, હોબાળો કરી કંચનબેન હાય હાયના નારા લગાવ્યા

અમદાવાદના ભાજપના વધુ એક મહિલા ધારાસભ્ય પર સ્તાનિક લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. શહેરના ઠક્કરબાપાનગર વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય કંચનબેન રાદડિયા વિરૂદ્ધ સ્થાનિક લોકો દ્વારા હાય હાયના નારા લગાવવામાં આવ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. રોડ, ડ્રેનેજ લાઈન અને વરસાદી પાણીની લાઈન નાખવા મુદ્દે સ્થાનિક લોકો દ્વારા એકત્રિત થઈને હોબાળો કરી હાય હાયના નારા લગાવ્યા હતા. વીડિયોમાં સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે, ધારાસભ્ય કંચનબેન રાદડિયા સહિત ભાજપના કોર્પોરેટરો વિસ્તારમાં દેખાતા નથી. વર્ષો જૂની ગટર લાઈન હોવા છતાં પણ નવી નાખવામાં આવતી નથી. જો સમસ્યાનું તાત્કાલિક નિવારણ નહીં આવે તો બે મહિનામાં અમે ચૂંટણીમાં જવાબ આપીશું એવી ચીમકી ઉચ્ચારી હતી. જ્યારે ધારાસભ્ય કંચનબેન રાદડિયાએ કહ્યું હતું કે, લોકો જે પ્રમાણે ગટર લાઈન નાખવા માટેની રજૂઆત કરી છે તે પ્રમાણે જ અમે લાઈન નાખી આપીશું. 'ધારાસભ્યને રજૂઆત કરીએ છીએ છતાં કામ થતાં નથી'શહેરમાં સ્થાનિક પ્રશ્નોને લઈને અવારનવાર ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટરોને રોષનો ભોગ બનવું પડતું હોય છે, ત્યારે અમદાવાદના ઠક્કરબાપાનગર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અને કોર્પોરેટર કંચનબેન રાદડિયાને ઠક્કરબાપાનગર વિસ્તારના સ્થાનિક લોકોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, જેમાં ઠક્કરબાપાનગર રોડ પર આવેલા વૃંદાવન પાર્ક સોસાયટી નજીક એક ડ્રેનેજ લાઈન નાખવા, વરસાદી પાણીની લાઈન અને રોડ બનાવવા મુદ્દે સ્થાનિક લોકો ભેગા થયા હતા. સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ધારાસભ્ય કંચનબેન રાદડિયાને રજૂઆત કરીએ છીએ છતાં કામ થતાં નથી. 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છીએ'સિનિયર સિટીઝન દ્વારા આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કંચનબેનના પતિને રજૂઆત કરીએ છીએ તો તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે જવાનું કહે છે. જો કોર્પોરેશન ઓફિસ જવાનું હોય તો તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છીએ. હું સિનિયર સિટીઝન થઈને કોર્પોરેશન ઓફિસ સુધી જાવ એવા પણ પ્રશ્નો કર્યા હતા. સ્થાનિક લોકોએ માગ કરી હતી કે જે ગટર લાઈન 30 વર્ષ જૂની છે તે ગટર લાઈનને હવે મોટી નાખવામાં આવે. જેથી ડ્રેનેજની સમસ્યા દૂર થાય. વરસાદી પાણીનો નિકાલ થાય તેના માટેની લાઇન નાખી અને બાદમાં જ રોડ બનાવવામાં આવે. જે પાણીની લાઈન નાખવામાં આવે છે તેની પહેલા ગટરની લાઈન નાખવામાં આવે ને તેનું જોડાણ કરવામાં આવે પછી જ આ વરસાદી પાણીની લાઈન નાખવામાં આવે તેવી માંગણી કરી હતી. જોકે આજ દિન સુધી આ કામગીરી થઈ નથી. સમસ્યાનું નિવારણ નહીં આવે તો બે મહિનામાં ચૂંટણીમાં જવાબ આપીશુંભાજપના કોર્પોરેટરો અને ધારાસભ્યને અમે રજૂઆત કરીએ છીએ અને લેટર લખીને આપે છે છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી. ચોમાસામાં લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે છતાં પણ કોઈ ધ્યાન આપતું નથી. બસ તેઓ ઘરમાં સૂઈ રહેતા હોય છે. જો તાત્કાલિક આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો અમે બે મહિનામાં ચૂંટણીમાં જવાબ આપીશું એવી પણ ચીમકી સ્થાનિક લોકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. RCC રોડ છે તેમાં પણ ગુંડાગીરી કરી હવે ડામર ચોપડી દેવાયોવર્ષો જૂની ગટર લાઈન છે તે ગટર લાઈન મોટી નાખવાની હોય છે. હવે રોડ બનાવવામાં આવી રહ્યો છે જે આરસીસી રોડ છે તેમાં પણ ગુંડાગીરી કરી અને હવે ડામર ચોપડી દેવામાં આવ્યો છે. જે રોડ બનાવે છે એ પણ અડધો બનાવવામાં આવ્યો છે. બાકી કોઈ રાજકારણીની તાકાત નથી કે અહીંયા આવીને તપાસ કરે. કેમ અહીંયા તપાસ કરવા આવતા નથી. બે કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું પણ ક્યાં ગયું ખબર નથીઅમે ભાજપના ધારાસભ્ય કંચનબેન રાદડિયાને 25 વખત મળ્યા અને રજૂઆત કરી તો તેઓ કહે છે અમે મોકલીશું... અમે મોકલીશું... પણ ક્યારે મોકલશે ખબર નથી. ગટર ઉભરાવાની સમસ્યા તો કાયમની બની ગઈ છે. વૃંદાવન પાર્ક સોસાયટી પાસે સમસ્યા જ છે. વિક્રમ પાર્કમાં રોડ છ મહિનામાં રોડ પણ બની જાય છે. કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે ક્યાં જાય છે ખબર નથી. બે કરોડ રૂપિયાનું બજેટ પણ ફાળવવામાં આવ્યું છતાં ક્યાં ગયું ખબર નથી. સ્થાનિકોની રજૂઆત પ્રમાણે જ ગટર લાઈન નાખી આપીશું: ધારાસભ્યઠક્કરબાપાનગર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કંચનબેન રાદડિયાએ જણાવ્યું હતું કે, સ્થાનિક લોકો મને રજૂઆત કરવા આવ્યા હતા, ત્યારે જ મેં તેમને કહ્યું હતું કે, તમે કહેશો એવી જ લાઈન નાખવામાં આવશે અને અત્યારે હાલમાં જે લાઈન નાખવામાં આવી રહી છે તે મોટી જ નાખવામાં આવી રહી છે. ડ્રેનેજ લાઈનમાં આગળ જે ચેમ્બર સુધી જાય છે ત્યાંથી પાણીનો નિકાલ ઝડપી થતો નથી જેથી સીસીટીવી કેમેરા મારફતે પણ છેલ્લા બે દિવસથી આ કામગીરી ચાલી રહી છે. સ્થાનિક લોકો જે પ્રમાણે ગટર લાઈન નાખવા માટેની રજૂઆત કરી છે તે પ્રમાણે જ અમે ગટર લાઈન નાખી આપીશું. તેમની માગ પૂર કરવા જણાવતા તેઓને સંતોષ થયો હતો: પૂર્વ મેયરઠક્કરબાપાનગર વોર્ડના કોર્પોરેટર અને પૂર્વ મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે, સ્થાનિક લોકો ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરવા માટે ગયા હતા અને તેઓ દ્વારા ત્યાં રજૂઆત કરવામાં આવી હતી. જેથી તેમની માગ પૂરી કરવા માટે જણાવવામાં આવ્યું હતું અને તેઓને સંતોષ થયો હતો. સ્ટ્રોમ વોટર લાઈન શિફ્ટિંગની કામગીરી કરવામાં આવી રહી છે: કોર્પોરેટરઠક્કરબાપાનગર વોર્ડના ભાજપના કોર્પોરેટર દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, વૃંદાવન પાર્ક પાસે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવી રહ્યો છે, જ્યાં સ્ટ્રોમ વોટર લાઈન શિફ્ટિંગની કામગીરી કરવામાં આવી રહી છે. આ વિસ્તાર ઢાળ વાળો છે જેથી ત્યાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા રહે છે, પરંતુ બેથી ત્રણ કલાકમાં પાણી ઉતરી જાય છે. અમે આ વિસ્તારમાં જઈએ જ છીએ પરંતુ હવે ટોળું હોય તો ઓળખતા હોઈએ એવું બને નહીં.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 9:14 pm

ચોરાયેલા ફોન પોલીસે પરત અપાવ્યા:મહેસાણા બી ડિવિઝન પોલીસે ચોરી થયેલા 10 ફોન અને સાયબર ફ્રોડનો ભોગ બનેલા અરજદારોના નાણાં પરત અપાવ્યા

મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ છેલ્લા બે મહિનામાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ.ઘેટીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ, સાયબર ક્રાઇમ ટીમ અને ટેકનિકલ એક્સપર્ટ્સની ટીમે નાગરિકોના ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી કાઢવા અને સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોના નાણાં પરત મેળવવા સચોટ તપાસ હાથ ધરી હતી. 10 મોબાઇલ ફોન મૂળ માલિકોને પરત કરાયાઆ કામગીરીના ભાગરૂપે છેલ્લા એક મહિનામાં ગુમ થયેલા 10 એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જેની અંદાજિત કિંમત રૂ 3,42,385 છ અને CIER પોર્ટલ પરની ઓનલાઇન અરજીઓના આધારે શોધી કાઢીને તેમના મૂળ માલિકોને સફળતાપૂર્વક પરત કરવામાં આવ્યા છે. સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોને રિફંડ જમાતેમજ છેલ્લા બે માસમાં NCCRP નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પરની અરજીઓ પર ખંતપૂર્વક તપાસ કરીને સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોના બેન્ક ખાતામાં કુલ રૂ 1,33,473 નું રિફંડ જમા કરાવવામાં આવ્યું છે. બી-ડિવિઝન પોલીસની આ પ્રશંસનીય કામગીરીથી મહેસાણાના નાગરિકોને તેમની કિંમતી વસ્તુઓ અને મહેનતની કમાણી પાછી મળી હતી.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 9:03 pm

અમરોલીમાં પત્નીએ પતિને ઉંઘમાં માથામાં પથ્થરના ઘા મારી પતાવી દીધો:વારંવાર ઝઘડો થતા પત્ની કંટાળી ગઈ હતી, પોલીસે પત્નીની ધરપકડ કરી

સુરતના અમરોલીમાં ધરકામ બાબતે થયેલા ઝઘડામાં ઉશ્કેરાઈયેલી પત્નીએ મોડીરાત્રે પતિ સુતેલો હતો ત્યારે માથામાં અને પેટના ભાગે પથ્થરથી ઘા ઝીંકી પતાવી નાંખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી પત્નીની ધરપકડ કરી છે. સુતેલો પતિ પર પત્નીએ પથ્થરના ઘા ઝીંકી પતાવી દીધોઅમરોલી પોલીસના જણાવ્યા મુજબ રજવાડી પાર્ટી પ્લોટની પાસે ઓમ શાંતીનગર સોસાયટીમાં રહેતા કનુભાઈ ચુડાસમા અને તેની પત્ની અંકીતા વચ્ચે ગત તા 6 ડિસેમ્બરના રોજ બપોરના બે વાગ્યે ઘરકામને લઈને ઝઘડો થયો હતો. અગાઉ પણ વારંવાર બંને વચ્ચે નજીવી બાબતમાં ઝઘડાઓ થતા હતા. જેથી અંકિતા પતિના સ્વભાવથી કંટાળી ગઈ હતી. આ દરમિયાન મોડીરાત્રે બે વાગ્યાના આરસામાં કનુભાઈ સુતેલા હતા ત્યારે અંકિતાએ તેમની હત્યા કરવાના ઈરાદે માથા અને પેટના ભાગે ઉપરા છાપરી પથ્થરના ઘા માર્યા હતા. પતિનું મોત,પોલીસે પત્નીની ધરપકડ કરીકનુભાઈને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમનું સારવાર દરમિયાન આજે મોત નિપજ્યું છે. બનાવ અંગે અમરોલી પોલીસે મકાનના નીચેના માળે રહેતા માલીક કિરણસિંહ છગનસિંહ સોલંકી (ઉ.વ.74)ની ફરિયાદ લઈ હત્યાનો ગુનો દાખલ કરી આરોપી પત્ની અંકીતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 8:59 pm

મુખ્યમંત્રી બનાસકાંઠાને રૂ.1000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે:11 ડિસેમ્બરે 22થી વધુ પ્રોજેક્ટ્સનું ખાતમુર્હુત-લોકાર્પણ થશે, ત્રણ ભાગમાં ગ્રીનફીલ્ડ બાયપાસ બનાવવાની કામગીરી કરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 11 ડિસેમ્બર, 2025ના રોજ બનાસકાંઠા જિલ્લાને રૂ. 1000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે. આ દિવસે સાતથી વધુ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને પંદરથી વધુ વિકાસ કામોનું ખાતમુર્હુત કરવામાં આવશે. મુખ્યમંત્રીના હસ્તે ઉમરદશી નદી પર છ માર્ગીય રસ્તાને અનુરૂપ નવીન ચાર માર્ગીય પુલ, ગઠામણ જંકશન પર વીયુપીનું કામ, મડાણા (ગઢ) અને વેડંચા ખાતે પી.એચ.સી., પાલનપુર ખાતે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે આધુનિક સુવિધાસભર સરકારી કુમાર છાત્રાલય, તેમજ કીડોતર અને સેજલપુરા પ્રાથમિક શાળાના 22 નવીન વર્ગખંડોનું લોકાર્પણ કરાશે. આ ઉપરાંત, પાલનપુર બાયપાસ રોડ, અમદાવાદથી ડીસા અને ડીસાથી આબુરોડ (ફોર લેન) માટે પાલનપુર શહેર પર બાયપાસને અનુરૂપ નવીન ચાર માર્ગીય પુલનું કામ, પાટણ-ડીસા માર્ગનું વિસ્તરણ અને મજબૂતીકરણ, રેલવે લાઇન પર આર.ઓ.બી.નું નિર્માણ, પાલનપુર નજીક ઉમરદશી નદી પર 4-લેન પુલનું બાંધકામ અને ડી.એફ.સી.સી. રૂટ પર નવા આર.ઓ.બી.નું નિર્માણ સહિતના મહત્વપૂર્ણ ટ્રાન્સપોર્ટેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કાર્યોનું ખાતમુર્હુત થશે. ખાતમુર્હુત થનારા અન્ય કાર્યોમાં ડીસામાં વિવિધ સરકારી કચેરીઓના કેમ્પસ ડેવલપમેન્ટ, વિરુણા બસ સ્ટેશનથી દેવપુરી બાઈ મંદિર રોડ, તેમજ એટાથી ગોલા રોડના વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. પાલનપુરમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનું નવું બિલ્ડિંગ, કન્યાઓ માટે 250 ક્ષમતા ધરાવતી આદર્શ નિવાસી શાળા-છાત્રાલય, સમૌ મોટા, રામપુરા મોટા અને જૂના ડીસા ખાતે પી.એચ.સી.ના નવા બાંધકામ તેમજ પાલનપુર સ્ટ્રોમ વોટર પ્રોજેક્ટના કાર્યો પણ શરૂ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાલનપુર રામલીલા મેદાન સ્થિત સશક્ત નારી મેળાની મુલાકાત લેશે અને પાલનપુર ટાઉનહોલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે. મુખ્યમંત્રીના સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, પાલનપુર ખાતે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. પાલનપુર એરોમા સર્કલ ખાતે થતી ટ્રાફિક સમસ્યા હવે ભૂતકાળ બને તો નવાઈ નહીં કારણ કે મુખ્યમંત્રીના હસ્તે પાલનપુર ગ્રીનફીલ્ડ બાયપાસનું ખાતમુર્હુત થયા બાદ બાયપાસ રોડ બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થનાર છે. સરકાર દ્વારા કુલ 562 કરોડના ખર્ચે ત્રણ ભાગમાં આ ગ્રીનફીલ્ડ બાયપાસ બનાવવાની કામગીરી કરાશે. વર્ષો જૂની બનાસકાંઠાના નાગરિકોની ટ્રાફિક સમસ્યાની રજૂઆતને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને દિશા નિર્દેશ આપ્યા હતા જેના પગલે ઝડપથી જમીન સંપાદન થયા બાદ હવે ખાતમુર્હુત કરાશે. વર્તમાન પાલનપુર શહેરમાંથી અમદાવાદ, દિલ્હી, રાજસ્થાન, કંડલા તરફ જતા વાહન વ્યવહાર શહેરના એરોમા સર્કલથી પસાર થાય છે. દિન પ્રતિદિન વધેલ વાહન વ્યવહારના લીધે પાલનપુર શહેરના એરોમા સર્કલ પર ભારે ટ્રાફિક સમસ્યા સર્જાય છે. હાલમાં પાલનપુર શહેરના એરોમા સર્કલથી અંદાજીત 6600 જેટલા મોટા વાહનો સાથે કુલ 29,500 જેટલા વાહનો પસાર થાય છે. સદર પાલનપુર બાયપાસની કામગીરી માટે કુલ 14 ગામની 157.81 હે.જમીન સંપાદનની કામગીરી પૂર્ણ કરાઈ છે. આ ગ્રીનફીલ્ડ બાયપાસ રોડ આબુરોડ પર આવેલ સોનગઢ ગામથી શરૂ થઈ ચડોતર ગામ પાસેથી પસાર થઈ જગાણા ગામ પાસે અમદાવાદ હાઈવે સાથે કનેક્ટ કરાશે. સદર ગ્રીનફીલ્ડ બાયપાસ રોડની કામગીરી કુલ ત્રણ ભાગમાં કરાશે જેની કુલ લંબાઈ 24.5 કિલોમીટર રહેશે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 8:47 pm

સરગાસણના મહાદેવ મંદિરનું ડિમોલિશન ભક્તોના વિરોધ સામે મોકૂફ:હર હર મહાદેવના નાદ વચ્ચે GMCની ટીમની પીછેહઠ, મનપાના રિઝર્વ પ્લોટ પર ગેરકાયદેસર બનેલું

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આજે 8 નવેમ્બરના સરગાસણ-તારાપુર વિસ્તારના ટીપી-29માં આવેલા શિવેશ્વર મહાદેવ મંદિરને દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે મંદિરના ભક્તો અને સ્થાનિક રહેવાસીઓએ હર હર મહાદેવના નાદ સાથે ઉગ્ર વિરોધ નોંધાવતા ડિમોલિશનની કામગીરી અટકી પડી હતી. શિવ ભક્તોના વિરોધને પગલે મહાનગરપાલિકાની ટીમે સુરક્ષા કારણોસર ખાલી હાથે પાછા ફરવું પડ્યું હતું. શિવેશ્વર મહાદેવ મંદિરને દૂર કરવા કામગીરી મોકૂફગાંધીનગરના સરગાસણ-તારાપુર વિસ્તારના ટીપી-29માં આવેલા શિવેશ્વર મહાદેવ મંદિરને દૂર કરવા માટેની કાર્યવાહી દરમ્યાન ભક્તો અને સ્થાનિકોએ વિરોધ નોંધાવતા મહાનગર પાલિકાને વિલા મોઢે પરત ફરવાની ફરજ પડી હતી. સુપ્રિમ કોર્ટના આદેશો બાદ ગાંધીનગરમાં તમામ ધાર્મિક દબાણોની યાદી તૈયાર કરીને તેને તબક્કાવાર દૂર કરવાની કાર્યવાહી તંત્ર દ્વારા ચાલી રહી છે મંદિર મહાનગરપાલિકાના રિઝર્વ પ્લોટ પર ગેરકાયદેસર રીતે બનેલું જે અંતગર્ત ટીપી-29 તારાપુર-સરગાસણ વિસ્તારમાં આવેલું આ શિવેશ્વર મહાદેવ મંદિર મહાનગરપાલિકાના રિઝર્વ પ્લોટ પર ગેરકાયદેસર રીતે બનેલું છે. આથી GMC દ્વારા મંદિર ટ્રસ્ટને અગાઉ નોટિસ આપવામાં આવી હતી. જોકે સ્થાનિકોની રજૂઆત બાદ આ દબાણ જાતે અને સુરક્ષિત રીતે દૂર કરવા માટે સમય પણ આપવામાં આવ્યો હતો. સ્થાનિકો અને શિવ ભક્તોએ કાર્યવાહીનો સખત વિરોધત્યારે આ સમયગાળો પૂર્ણ થતાં મહાનગરપાલિકાની ડિમોલિશન ટીમ આજે કાર્યવાહી કરવા માટે સ્થળ પર પહોંચી હતી. પરંતુ મોટી સંખ્યામાં એકઠા થયેલા સ્થાનિકો અને શિવ ભક્તોએ કાર્યવાહીનો સખત વિરોધ શરૂ કરી દીધો હતો. આ વિરોધના કારણે સ્થળ પર તંગદિલી જેવો માહોલ સર્જાયો હતો. 'અહીંયા અમે ભક્તિ ભજન કરીએ છીએ'આ અંગે સરગાસણના મારું વિમળાબેન પ્રજાપતિએ કહ્યું કે,અહીંયા અમે ભક્તિ ભજન કરીએ છીએ, કીર્તન કરીએ છીએ.આ શિવની પૂજા કરીએ છીએ. બધા આજુબાજુવાળી બધી સોસાયટી, બહેનો, ભાઈઓ બધા અહીંયા દર્શન કરવા આવીએ છીએ. તો કોઈ દુર્યોધન ઊભો થયો છે, તો અહીંયા બધું નાશ કરવા આવ્યો છે. એનો પણ નાશ થવો જોઈએ. ધાર્મિક દબાણ દૂર કરવા તંત્ર પગલા લેશે કે નહી ?આખરે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે મનપાની ટીમે કોઈપણ પ્રકારની કામગીરી કર્યા વિના ત્યાંથી પરત જવાનો નિર્ણય લીધો હતો.આ બનાવને પગલે શહેરમાં ચર્ચાઓ શરૂ થઈ છે કે એક તરફ કાયદાનું પાલન કરાવવાનું અને બીજી તરફ આસ્થાનો મામલો હોવાથી આ ધાર્મિક દબાણ દૂર કરવા માટે તંત્ર દ્વારા હવે આગળ શું પગલાં લેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 8:36 pm

ખ્યાતિ હોસ્પિટલ કેસમાં ડો. પ્રશાંત વજીરાણીને જામીન આપતી હાઈકોર્ટ:આરોપીને અરેસ્ટ કરે 1 વર્ષ કરતા વધુ સમય વિત્યો, અન્ય આરોપીઓની ડિસ્ચાર્જ અરજી પર કાલે ચુકાદો

ખ્યાતિ હોસ્પિટલ કેસમાં આજે ગુજરાત હાઇકોર્ટે આરોપી ડો. પ્રશાંત વજીરાણીને જામીન આપ્યા છે. ટ્રાયલ કોર્ટમાં ટ્રાયલ ચલાવામાં વિલંબ થઈ રહ્યો હોવાથી આ જામીન આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ટ્રાયલ કોર્ટમાં રાજશ્રી કોઠારી, રાહુલ જૈન વગેરે આરોપીઓએ ડિસ્ચાર્જ અરજી ફાઈલ કરી છે. તેની ઉપર આવતીકાલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ચુકાદો આપે તેવી શક્યતા છે. વળી ડો.પ્રશાંત વજીરાણીને પોલીસે અરેસ્ટ કરે 1 વર્ષ કરતાં વધુ સમય વીતી ચૂક્યો છે. દર્દીઓને એન્જિયોગ્રાફિ-એન્જિયોપ્લાસ્ટી કરવા સલાહ આપી હતીઅગાઉ હાઈકોર્ટમાં દાખલ થયેલી પ્રશાંત વજીરાણીની જામીન અરજી ઉપર રજૂઆત કરાઈ હતી કે, તેઓ બોરીસણા ગામના કેમ્પમાં હાજર રહ્યા હતા. તેમને દર્દીઓને એન્જિયોગ્રાફિ અને એન્જિયોપ્લાસ્ટી કરવા માટે સલાહ આપી હતી. PMJAY યોજનામાં પૈસા પડાવવા માટે દર્દીઓને એન્જિયોગ્રાફિ કરાવવા એન્જિયોપ્લાસ્ટી કરાવવા માટે ડરાવવામાં આવતા હતા. ઓપરેશન બાદ કોઈ સ્પેશિયલ ડોક્ટર દર્દીઓના સંભાળ માટે નહોતું. પૈસા કમાવા લોકોના જીવ સાથે રમત રમાઈસરકારી અને પીડિતોના વકીલે દલીલ કરી હતી કે, આવા પ્રકારના ડોક્ટરોથી લોકોનો મેડિકલ ફિલ્ડ ઉપર વિશ્વાસ ઘટ્યો છે. પૈસા કમાવા માટે લોકોના જીવ સાથે રમત રમાઈ છે. હાઇકોર્ટે નોંધ્યું હતું કે આ ઘટનામાં 2 લોકોના મૃત્યુ નિપજયા છે. જે દર્દીઓ ઉપર એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી તેમની તપાસ UN મેહતા હોસ્પિટલના કરતા, આવી સર્જરીની કોઈ જરૂર નહોતી. દર્દીઓને સર્જરી કરાવવા ભય બતાવવામાં આવતો હતો. એન્જિયોગ્રાફિ અને એન્જિયોપ્લાસ્ટી કરી દર્દીઓને સ્ટેન્ટ મૂક્યા હતાપોલીસ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે હતો કે ખ્યાતિ મલ્ટી સ્પેશયાલિસ્ટ હોસ્પિટલ સાથે જોડાયેલા આરોપીઓએ PMJAY યોજનાનો દુરુપયોગ કરી આર્થિક લાભ મેળવવા સારું દર્દીઓની સાચી પરિસ્થિતિ ન દર્શાવી, એન્જિયોગ્રાફિ અને એન્જિયોપ્લાસ્ટી કરી દર્દીઓને સ્ટેન્ટ મૂક્યા હતા. જેના ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા હતા અને તેમાં બે દર્દીઓના મૃત્યુ થયા હતા. ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આવી રીતે ખોટા ઓપરેશન થતા હોવાનું અને દર્દીઓના જીવ જોખમમાં મુકતા હોવાનું કૌભાંડ બહાર આવતા સરકારે 7 ડોકટરોની કમિટી બનાવી હતી. 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરતા બેના મોત થયા હતાતેમની તપાસમાં બહાર આવ્યું હતું કે, હોસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પના નામે 19 વ્યક્તિઓને અમદાવાદ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બસમાં લાવવામાં આવ્યા હતા. જેમાં 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. તેમાંથી બેના મૃત્યુ નીપજ્યાં હતાં. કમિટીએ આ સંદર્ભે દર્દીઓના ECG, કાર્ડિયોગ્રામની ફાઈલ, એન્જિયોગ્રાફિની સીડી વગેરે મેળવી હતી. જેની તપાસમાં દર્દીઓને સર્જરીની જરૂરી ના હોવા છતાં ઓપરેશન કરાયું હોવાનું ખુલ્યું હતું. જે દર્દીઓને 30થી 40% બ્લૉકેજ હતું. તેની જગ્યાએ 80% બ્લોકેજ બતાવવામાં આવ્યું હતું. આ સંદર્ભે વસ્ત્રાપુર પોલીસ મથકે ફરિયાદ નોધાઇ હતી.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 8:33 pm

સુરત મનપાનો પ્રદૂષણ નિયંત્રણ નિયમો તોડનારને 184 બાંધકામોને 56-લાખનો દંડ:મ્યુ. કમિશનરે મનપાના ડુમસ સી-ફેસ પ્રોજેક્ટને પણ 5 લાખનો દંડ ફટકાર્યો

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વાયુ પ્રદૂષણ નિયંત્રણ અભિયાન અંતર્ગત ચાલી રહેલા બાંધકામો સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. SMC દ્વારા વાયુ પ્રદૂષણ નિયંત્રણ માટેના અસરકારક પગલાં નહીં લેવા બદલ કુલ 184 બાંધકામો પાસેથી પેનલ્ટી પેટે કુલ 56,01,000 વસૂલવામાં આવ્યા છે. આ સર્વે 04 ડિસેમ્બર, 2025થી 8 નવેમ્બર સુધીમાં કરાયેલા 266 ચાલુ બાંધકામો પૈકી કરવામાં આવ્યો હતો. એટલું જ નહિ મ્યુનિસપિલ કમિશનરે શાલિની અગ્રવાલે મનપાના ડુમસ સી-ફેસ પ્રોજેક્ટને પણ 5 લાખનો દંડ ફટકાર્યો છે. કમિશનરની ડુમસ સી-ફેસ પ્રોજેક્ટની મુલાકાત અને દંડઆ કાર્યવાહીની સાથોસાથ, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા આજે ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સુરત શહેર તથા દેશ-વિદેશના સહેલાણીઓ માટે મનોરંજન અને કુદરતી સૌંદર્ય માણવા માટે આ ટુરિઝમ પાર્કનું આયોજન કરાયું છે. પ્રોમેનાડ એરિયા અને મિકેનાઇઝ્ડ કાર પાર્કિંગનું નિરીક્ષણ કર્યુંડુમસ દરિયા કિનારાના 102 હેક્ટર તથા દરિયાની કુલ 5 કિમી લંબાઈમાં અદ્યતન પર્યટન સ્થળ વિકસાવવાના આયોજન પૈકી ઝોન 1 (અર્બન ઝોન)ના 12.86 હેક્ટર વિસ્તારમાં ₹ 244 કરોડનું કેપિટલ કામ પ્રગતિ હેઠળ છે. કમિશનરે આ પ્રોજેક્ટ હેઠળ પૂર્ણ થયેલ સરફેસ પાર્કિંગ અને યોગા ગ્રાઉન્ડની કામગીરી તેમજ પ્રોમેનાડ એરિયા અને MLCP બિલ્ડિંગ સ્થિત મિકેનાઇઝ્ડ કાર પાર્કિંગનું નિરીક્ષણ કર્યું હતું. વાયુ પ્રદૂષણ અટકાવવા કાર્યવાહીજોકે, નિરીક્ષણ દરમિયાન કમિશનરએ નોંધ્યું હતું કે પ્રોજેક્ટના ઇજારદાર દ્વારા વાયુ પ્રદૂષણ અટકાવવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી ન હતી. સ્વ-નિયંત્રણનું ઉદાહરણ પૂરું પાડતા કમિશનરએ તાત્કાલિક અસરથી આ પ્રોજેક્ટના ઇજારદારને વાયુ પ્રદૂષણ નિયંત્રણમાં બેદરકારી બદલ 5,00,000ની પેનલ્ટી ફટકારી હતી. બાકી કામો ઝડપથી પૂર્ણ કરવા કમિશરની સૂચનાકમિશનરએ ડુમસ સી-ફેસ પ્રોજેક્ટમાં હોર્ટીકલ્ચર સહિત બાકી રહેલી તમામ કામગીરીઓ તાત્કાલિક પૂર્ણ કરવા માટે પણ સૂચના આપી હતી. આ પ્રોજેક્ટમાં સરફેસ પાર્કિંગ, મલ્ટીલેવલ કાર પાર્કિંગ, સાયકલ ટ્રેક, પ્રોમિનાડ, વોકવે, યોગા ગ્રાઉન્ડ, INS સુરત યુદ્ધ જહાજનું આકર્ષણ, અને MLCP બિલ્ડિંગમાં કંટ્રોલ રૂમ સહિતની વિશેષ સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે.SMC દ્વારા સરકારી પ્રોજેક્ટને પણ દંડ ફટકારવાની કાર્યવાહીએ પ્રદૂષણ નિયંત્રણના નિયમોની સમાન અમલવારી પર ભાર મૂક્યો છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 8:24 pm

સુરતમાં એક સાથે ચાર બ્રેઇનડેડ વ્યક્તિના 20 અંગોનું દાન:નવી સિવિલમાં એક, AAIHMSમાં બે અને કિરણ હોસ્પિટલમાં એકના અંગોના દાનથી 20ને નવું જીવન બક્ષ્યું

સુરતમાં એક દિવસ એક સાથે અને એક જ શહેરમાં ચાર બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન થયા હોય એવી ભારતની પ્રથમ ઘટના બની છે. આ ચાર બ્રેઇનડેડના 20 અંગોનું દાન થતા અંગોની જરૂરિયાત ધરાવતા લોકોને નવું જીવન મળશે. સમગ્ર રાજ્ય અને દેશમાં અંગદાન જનજાગૃતિ અભિયાન ચલાવનાર એવા અંગદાન જનજાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપદાદા દેશમુખના જન્મદિવસે એક સાથે ચાર બ્રેઇનડેડ વ્યક્તિઓના સફળ અંગદાન થયા છે. એક જ દિવસમાં 4 વ્યક્તિઓના 20 અંગોનું દાનનવી સિવિલ હોસ્પિટલમાં 48 વર્ષીય બ્રેઇનડેડ કૈલાસ રામુ આહિર (મૂળ. કુત્તરમારે, ધુલે, મહારાષ્ટ્ર)ના કિડની, લિવર અને કોર્નીયા આ ઉપરાંત જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા બીજા બે અંગદાન નાના વરાછાની AAIHMS હોસ્પિટલ ખાતે બ્રેઇનડેડ 46 વર્ષીય ઇલાબેન મનહરભાઈ પ્રજાપતિ અને 55 વર્ષીય મનુભાઈ જેરામભાઈ કાચા 4 કિડની અને બે લિવર તેમજ 4 આંખો જ્યારે ચોથુ અંગદાન કતારગામની કિરણ હોસ્પિટલ ખાતે થયું. જેમાં 68 વર્ષીય છગનલાલની બે આંખ, બે કિડની અને લિવર મળી એમ કુલ 20 અંગોનું દાન થયું છે. મહારાષ્ટ્રના કૈલાસ રામુ આહિરનું અકસ્માતમાં ગંભીર ઈજાથી મોતસિવિલ હોસ્પિટલમાં અંગદાતા કૈલાસ રામુ આહિરે ખેતમજૂરી કરતા હતા અને મહારાષ્ટ્રના થાણેપડા ગામથી તેમની પત્ની અસાથે બાઈક પર કુત્તરમારે ગામ જઈ રહ્યા હતા, ત્યારે ગાડી આગળ કુતરો આવી જવાથી અકસ્માત સર્જાતા કૈલાસભાઈને માથામાં ગંભીર ઈજા થઈ હતી. નંદુરબારની સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ પણ ગંભીર હાલત હોવાથી પ્રાથમિક સારવાર કરી સુરતની નવી સિવિલમાં 6 ડિસે.ના રોજ સાંજે 5:38 વાગ્યે દાખલ કરાયા હતા. ICUમાં સારવાર બાદ તા. 8 ડિસેમ્બરની રાત્રે 9:38 વાગ્યે RMO ડો કેતન નાયક, ડો. નિલેશ કાછડીયા, ન્યુરોલોજિસ્ટ ડો. જય પટેલ, ન્યુરો સર્જન ડો.કેયુર પ્રજાપતિએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતાં. ત્યાર બાદ ડો.નિલેશ કાછડીયા, ડો.કેતન નાયક અને નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલાએ કૈલાસભાઈ પત્ની, પુત્ર અને પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવતાં અંગદાન માટે સહમતિ આપી હતી. આમ, સિવિલમાં કૈલાસભાઈના કિડની, લીવર અને કોર્નીયાના દાન સાથે 86મું સફળ અંગદાન થયું છે. નવી સિવિલમાં 151 સફાઈકર્મી બહેનો તેમજ સુરક્ષા સ્ટાફને બ્લેન્કેટ અર્પણનર્સિંગ એસો. દ્વારા દિલીપદાદા દેશમુખના જન્મદિવસે નવી સિવિલમાં 151 સફાઈકર્મી બહેનો તેમજ સુરક્ષા સ્ટાફને બ્લેન્કેટ અર્પણ કરાયા હતા. જેમાં સિવિલની ટીમે બ્લેન્કેટ વિતરણ અને આકાશમાં શાંતિદૂત બલુન ઉડાડીને લોકો, સામાજિક સંસ્થાઓને લોકોને જાગૃત્ત કરી મહત્તમ અંગદાન થાય એવો દિલીપદાદા વતી સંદેશ આપ્યો હતો. ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, અંગદાન પ્રત્યે લોકો સ્વયંભૂ જાગૃત્ત બને, અંગદાન જનજાગૃતિ અભિયાન જનઆંદોલનમાં ફેરવાય એવા અમારા પ્રયાસો છે. આમ, અંગદાનની પ્રવૃત્તિથી લોકોના જીવનમાં નવો ઉજાસ પૂરનાર દિલીપદાદા દેશમુખના જન્મદિવસે એક સાથે ચાર બ્રેઈનડેડ વ્યક્તિઓના સફળ અંગદાન થતા જન્મદિનની ઉજવણી સાર્થક થઈ છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 8:17 pm

આધાર કાર્ડની કામગીરીમાં ગેરરીતિની આશંકાને પગલે 13 કર્મચારીઓને ફરજમુક્ત કરાયા:નવસારીમાં 2 સુપરવાઇઝર, 11 ઓપરેટર સામે તપાસ શરૂ, અધિક નિવાસી કલેક્ટરની કડક કાર્યવાહી

નવસારી જિલ્લામાં આધાર કાર્ડની કામગીરીમાં ગેરરીતિની આશંકાને પગલે કુલ 13 કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરવામાં આવ્યા છે. જિલ્લા અધિક કલેક્ટર દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યો છે, જેમાં 2 સુપરવાઇઝર અને 11 ઓપરેટરનો સમાવેશ થાય છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મામલે સઘન તપાસ પણ શરૂ કરવામાં આવી છે. જિલ્લા અધિક નિવાસી કલેક્ટર યોગરાજસિંહ ઝાલાએ આ ફરજમુક્તિનો આદેશ જાહેર કર્યો છે. 6 ડિસેમ્બરથી કચેરીના સમય બાદથી આ તમામ સુપરવાઇઝર અને ઓપરેટરોને છૂટા કરવામાં આવ્યા છે. જોકે, અધિક કલેક્ટર દ્વારા જાહેર કરાયેલા ઓર્ડરમાં 'વહીવટી કારણ' દર્શાવવામાં આવ્યું છે, પરંતુ નવસારી જિલ્લામાં આધાર કાર્ડ બનાવવામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાની વ્યાપક ચર્ચા ચાલી રહી છે. આ ગેરરીતિની ફરિયાદ રાજ્ય કક્ષાએ થઈ હતી, જેના આધારે જિલ્લા કલેક્ટરે આ ગંભીર બાબતની નોંધ લીધી હતી. આ ઘટનાના પગલે જિલ્લા કલેક્ટરે તાત્કાલિક અસરથી આ કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લીધો હતો. ફરજમુક્ત કરાયેલા કર્મચારીઓમાં હરેશ રાજ્યગુરુ અને નિરવ ટેલર (સુપરવાઇઝર) તેમજ દીપ્તિ ટંડેલ, સોનલબેન ગાંધી, રેણુકા પટેલ, બિનીતા રાજપૂત, હિતેષભાઈ પટેલ, શેહજાદભાઈ શેખ, મોહમદ આસિફ મલિક, નૈનેશ તલાવિયા, મિતેશ આહિર, કાજલ ટંડેલ અને તનુજા આહિર (ઓપરેટર)નો સમાવેશ થાય છે. સુપરવાઇઝર નિરવ ટેલરે શું કહ્યું?આ મામલે છૂટા કરાયેલા સુપરવાઇઝર નિરવ ટેલર સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આધાર કાર્ડની કામગીરીમાં ગેરરીતિ થઈ હોવાની શંકા વહીવટી તંત્રને છે, જેમાં વહીવટી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં આધાર કાર્ડની કામગીરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. આગામી કાર્યવાહી અને તપાસજિલ્લા કલેક્ટરે આધાર કાર્ડની કામગીરી રાબેતા મુજબ કરવા માટે તૈયારીઓ શરૂ કરી છે. વહીવટી તંત્ર દ્વારા આગામી બે દિવસમાં આધાર કાર્ડ બનાવવામાં થયેલી ગેરરીતિ મામલે સઘન તપાસ કરવામાં આવશે. તપાસમાં કસૂરવાર ઠરનાર સામે કાયદેસરના પગલાં લેવામાં આવે તેવી સંભાવના છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 8:12 pm

થલતેજમાં પાન પાર્લર પાસે તસ્કરોએ 9.20 લાખની ચોરી કરી:કાલુપુરમાં ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

અમદાવાદના થલતેજમાં પાન પાર્લર પાસે તસ્કરોએ ગાડીનો કાચ તોડીને 9.20 લાખની ચોરી કરી હતી. જ્યારે બીજા બનાવમાં કાલુપુરમાં પ્રતિૂબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો. થલતેજમાં પાન પાર્લર પાસે તસ્કરોએ 9.20 લાખની ચોરી કરીમૂળ થલતેજમાં રહેતા મનિષાબેન પટેલ અમેરિકામાં રહે છે. લગ્નપ્રસંગ હોવાથી અમદાવાદ ખાતે આવ્યા હતા. મનિષાબેન તેમની બહેનપણી હિતેશ્વરીબેનના થલતેજ ખાતેના ઘરે ગયા હતા જે બાદ તે લોકોની સાથે સિંધુભવન જમવા ગયા હતા. ત્યાંથી પેલેડિયમ મોલમાં ખરીદી કરવા ગયા અને આશરે પંદરેક મિનિટમાં પરત આવી ગયા હતા. ત્યારે ગાડીમાં બેસવા જતા ગાડીનો કાચ તુટેલો હતો. જેથી ગાડીમાં તપાસ કરતા ગઠિયાઓએ કાચ તોડીને પર્સની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. બહેનપણીના પતિએ જણાવ્યું કે તે ગાડી પાર્ક કરીને પાન પાર્લરમાં ગયા હતા અને તુરંત જ પરત આવ્યા ત્યારે આ બનાવ બન્યો હતો.તસ્કરો ડાયમંડના દાગીના, ફોન, રોકડા, ચશ્મા મળી કુલ રૂ. 9.20 લાખની મતા ભરેલું પર્સ ચોરી જતા વસ્ત્રાપુર પોલીસે સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે. કાલુપુરમાં ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયોઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરી કે તુક્કલના ઉપયોગ અને વેચાણ પર પ્રતિબંધ ફરમાવતુ પોલીસ વિભાગે જાહેરનામું બહાર પાડ્યું છે. તેમ છતાંય ઉત્તરાયણના દોઢેક માસ પહેલાથી જ ચાઇનીઝ દોરી વેચનારા તત્ત્વો સક્રિય બની ગયા છે. જીવલેણ ચાઇનીઝ દોરીનો જથ્થો નજીવી કિંમતે લાવીને ઊંચા ભાવે વેચીને લોકોનો જીવ જોખમમાં મૂકનાર લોકોને પોલીસે શોધવાનું શરૂ કર્યું છે. તેવામાં ઝોન-3 ડીસીપી રૂપલ સોલંકીની એલસીબી સ્ક્વોડે બાતમી આધારે કાલુપુરમાંથી એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે દરિયાપુરના મહોમ્મદ ફુરકાન શેખ (ઉ.28)ને ચાઇનીઝ દોરીની 432 રીલ સાથે ઝડપી લીધો હતો. આરોપીએ આ જથ્થો ખુશ કુલ્લાની પોળના મકાનમાંથી છૂપાવ્યો હતો. આ જથ્થો લઇને તે વેચાણ માટે નીકળ્યો ત્યારે જ પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. પ્રાથમિક તપાસમાં આ જથ્થો તે સરખેજમાંથી લાવ્યો હોવાનું સામે આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 8:11 pm

વેરાવળમાં 21થી 23 ડિસેમ્બર સુધી ‘સશક્ત નારી મેળો’:સ્વદેશી અભિયાન અંતર્ગત KCC મેદાન ખાતે આયોજન

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં 21 થી 23 ડિસેમ્બર દરમિયાન ત્રિદિવસીય ‘સશક્ત નારી મેળો’ યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને મહિલા સશક્તિકરણના વિઝન અંતર્ગત સ્વદેશી અભિયાન હેઠળ આ મેળાનું આયોજન કરાયું છે. તેનો મુખ્ય હેતુ મહિલાઓના યોગદાનને પ્રદર્શિત કરવા અને તેમને સશક્ત બનાવવાનો છે. મેળાના સુચારુ આયોજન માટે કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. કલેક્ટરે જણાવ્યું કે આ મેળો મહિલાઓના આર્થિક અને સામાજિક સશક્તિકરણ માટે જિલ્લાસ્તરીય મંચ પૂરો પાડશે. તે સ્વદેશી ઉત્પાદનો, સ્થાનિક હસ્તકલા, સ્વ-સહાય જૂથો અને મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપશે. આયોજન સંબંધિત વિભાગોને સ્ટોલ, મહેમાનો અને આનુષાંગિક વ્યવસ્થાઓનું નક્કર આયોજન કરવા સૂચના અપાઈ હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશીએ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે મેળાનો મુખ્ય હેતુ મહિલાઓ માટે સ્ટાર્ટઅપ સપોર્ટ, મહિલા કેન્દ્રિત સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન, મહિલા ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન અને સ્વદેશી મૂલ્યોને મજબૂત કરવાનો છે. આ મેળામાં કૃષિ વિભાગ, મહિલા આર્થિક વિકાસ નિગમ, કોટેજ ઈન્ડસ્ટ્રી, જી.એલ.પી.સી., વન-પર્યાવરણ અને સહકારી વિભાગ સહિતના લગભગ 50 સ્ટોલ પ્રદર્શિત થશે. ત્રણ દિવસીય આ મેળામાં સ્વદેશી પ્રદર્શન, માહિતી અને જાગૃતિ કાઉન્ટર, વિશિષ્ટ ક્ષેત્રમાં યોગદાન આપનાર મહિલાઓનું સન્માન, જિલ્લા કક્ષાએ મહિલા સ્ટાર્ટઅપ પિચિંગ, બેંક અને એન.બી.એફ.સી. લિંકેજ ડેસ્ક તેમજ ડિજિટલ સાક્ષરતા અને ઓનલાઈન વ્યવસાય અંગે માર્ગદર્શન અપાશે. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, જી.આઈ.ડી.સી. ઉદ્યોગ એસોસિએશન, હોટેલ ઈન્ડસ્ટ્રી, ખેતીવાડી, પી.જી.વી.સી.એલ., રોજગાર વિભાગ અને મત્સ્યોદ્યોગ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 8:08 pm

સૌરાષ્ટ્ર યુનિ.માં ડહોળા પાણીમાં સ્વિમિંગ કોમ્પિટિશન !:આંતર કોલેજ સ્પર્ધામાં સ્વિમિંગમાં એક માત્ર ગર્લ, ડાઇવિંગમાં 2 સ્વિમર ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી માટે ક્વોલિફાય

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે આંતર કોલેજ સ્વિમિંગ અને ડાઇવિંગ કોમ્પિટિશન યોજાઇ હતી. જેમાં બંને સ્પર્ધામાં ભાઈઓ અને બહેનો થઈને માત્ર 21 જ સ્પર્ધકોએ ભાગ લેતા નિરસતા જોવા મળી હતી. જેમાં પણ સ્વિમિંગ સ્પર્ધામાં એક જ ગર્લ સ્વિમર ઓલ ઇન્ડિયા માટે ક્વોલિફાય થઈ હતી, તો ડાઇવિંગ સ્પર્ધામાં 2 જ સ્વિમરે ભાગ લીધો હતો. જે બંને ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ માટે ક્વોલિફાય થયા હતા. આ ઉપરાંત યુનિવર્સિટીનો સ્વિમિંગપુલ કોચના અભાવે લાંબા સમયથી બંધ હતો અને આજે જ્યારે સ્પર્ધા હતી તે અગાઉ જ 7 મીટર ઉંડા પૂલમાં 28 લાખ લીટર પાણી ભરવામાં આવ્યું હતું. કૂવામાંથી લીધેલું પાણી ડહોળું હોવાથી સ્પર્ધકોને મુશ્કેલી પડી હતી. સ્વિમિંગ ભાઈઓમાં 12 અને બહેનોમાં 9 સ્વીમરે ભાગ લીધોસૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આજે આંતર કોલેજ સ્વિમિંગ કોમ્પિટિશન યોજાઇ હતી. જેમાં સ્વિમિંગ ભાઈઓમાં 12 અને બહેનોમાં 9 સ્વીમરે ભાગ લીધો હતો. કુલ 21 તરવૈયાએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાંથી માત્ર એક જ સ્પર્ધક પ્રિશા રીતેશભાઈ ટાંક ઓલ ઇન્ડિયા ગેમ માટે ક્વોલિફાય થઈ હતી. જે 50 મીટર અને 100 મીટર બટર ફ્લાય તેમજ 50 મીટર, 100 મીટર અને 200 મીટર બેક સ્ટ્રોક એમ કુલ 5 ઇવેન્ટમાં ક્વોલિફાય થઈ છે. પ્રિશા જસાણી કોલેજમાં મનોવિજ્ઞાન વિષય સાથે બી.એ.ના પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહી છે. છેલ્લા 9 વર્ષથી સ્વિમિંગ કરી રહી છે અને સ્કૂલ કક્ષાએ સ્ટેટ લેવલ ચેમ્પિયન થઈ ચૂકી છે. ડાઇવિંગમાં માત્ર 2 જ ખેલાડીઓએ ભાગ લીધોજ્યારે ભાઈઓમાં ડાઇવિંગમાં માત્ર 2 જ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં સ્મિત જયેશભાઈ ઠાકર 1 મીટર અને 3 મીટર ડાઇવિંગમાં ક્વોલિફાય થયા છે. જે જસાણી કોલેજનો વિદ્યાર્થી છે. જ્યારે જયદીપસિંહ વાળા પણ 1 મીટર અને 3 મીટર ડાઇવિંગમાં ઓલ ઇન્ડિયા ગેમમાં રમવા માટે ક્વોલિફાય થયા હતા. જે ધમસાણિયા કોલેજનો વિદ્યાર્થી છે. ક્વોલિફાય થયેલા ત્રણેય સ્વિમર મેંગ્લોર જશેસૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી સ્વિમિંગ અને ડાઇવિંગમાં ઓલ ઈન્ડિયા ગેમ માટે ક્વોલિફાય થયેલા ત્રણેય સ્વિમર આગામી 18થી 23 ડિસેમ્બર મેંગ્લોર ખાતે ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી સ્વિમિંગ અને ડાઇવિંગ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે જશે. ડહોળું પાણી હોવાની સ્પર્ધકોની ફરિયાદ જોકે આંતર કોલેજ સ્પર્ધામાં ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓએ ભાગ લેતા સ્પર્ધકોની નિરસતા જોવા મળી હતી. આ ઉપરાંત બંધ સ્વિમિંગ પૂલમાં સ્પર્ધા પૂર્વે જ પાણી નાખવામાં આવતા ડહોળું પાણી હોવાની સ્પર્ધકોની ફરિયાદ આવી હતી. પાણી ફિલ્ટર થયુ ન હોવાથી સ્પર્ધકોને સ્વિમિંગ પૂલનું તળિયું દેખાતું ન હતુ. જેને લીધે મુશ્કેલી પડી હોવાનું સામે આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 8:03 pm

બાપોદ સહિતના વિસ્તારોમાં કાચા પાકા દબાણો પર બુલડોઝર ફર્યું:ગેરકાયદેસર અડિંગો જમાવનાર સામે દબાણ શાખાની કાર્યવાહી

વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાએ આજે શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવો ઝુંબેશ યથાવત રાખી હતી. કાર્યવાહી દરમ્યાન પોલીસ, ફાયર બ્રિગેડ, મેડિકલ ટીમ અને સ્ટ્રીટ લાઇટ વિભાગના સહયોગથી એક જ દિવસમાં ડઝનથી વધુ સ્થળોએથી ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતાં. રામનાથ ખોડિયાર નગર પાસે દબાણો દૂર કરાયાદબાણ શાખાની ટીમે બાપોદ પોલીસ સ્ટેશનની ટીમ સાથે મળીને રામનાથ ખોડિયાર નગર પાસે ફાઇનલ પ્લોટ નં. 254/1ના ખુલ્લા પ્લોટમાં બાંધેલા કાચા-પાકા મકાનો તેમજ ઢોરવાડા સહિતના તમામ દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં લાંબા સમયથી દબાણની ફરિયાદો ઉઠી રહી હતી જેને લઈ કાર્યવાહી કરવામાં આવી હતી. આ વિસ્તારોમાં દબાણ દૂર કરાયાઆ સાથે દબાણ શાખાની ટીમે શહેરના વાસણા રોડના એવરેસ્ટ સર્કલથી લઈને ચકલી સર્કલ, જૂના એસ.ટી. ડેપો, વીર સાવરકર સર્કલ, ગેંડા સર્કલ બ્રિજ નીચે, ફતેગંજ બ્રિજ નીચે અરવિંદ બાગ પાસે, EME સર્કલ, રાત્રી બજાર તેમજ તરસાલી બાયપાસ હાઇવે પાસેના તમામ લારી-ગલ્લા, હાથગાડા અને રસ્તા પર મુકેલો સામાન જપ્ત કરી દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 8:03 pm

પાટણમાં 4 ફૂટ લાંબી ઝેરી નાગનું રેસ્ક્યુ:સુજનીપુરમાં રહેણાંક મકાનમાંથી નાગને બચાવીને સરસ્વતી નદીના પટમાં છોડાઈ

પાટણ જિલ્લાના સુજનીપુર ગામમાં દશરથભાઈ મકવાણાના મકાનમાંથી ચાર ફૂટ લાંબી ઝેરી નાગણીનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું. મકાનમાં ચાર ફૂટ લાંબી ઝેરી નાગણી ઘુસી આવતા દશરથભાઈ મકવાણાએ પાટણ શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતા જ જીવદયાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમે ભારે જહેમત બાદ નાગણીનું રેસ્ક્યુ કરી તેને પાટણની સરસ્વતી નદીના પટમાં સુરક્ષિત રીતે છોડી દીધી હતી.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 8:00 pm

ખેરાલુના નાનીવાડાં ગામમાંથી 18 બકરા તસ્કરો ચોરી ગયા:પશુપાલકે 1.98 લાખના મત્તાની ચોરી અંગે ફરિયાદ નોંધાવી

મહેસાણા જિલ્લામાં શિયાળાની શરૂઆત થતા જ તસ્કરો સક્રિય બન્યા છે. ખેરાલુ તાલુકાના નાનીવાડા ગામે રાત્રી દરમિયાન વાડામાં બાંધેલા 18 બકરા અજાણ્યા તસ્કરો ચોરી જવાની ઘટના સામે આવી છે. સમગ્ર ચોરીની ઘટનામાં પશુપાલકે ખેરાલુ પોલીસ મથકમાં 1.98 લાખના મત્તાની ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે. નાનીવાડાં માંથી 18 બકરા તસ્કરો ચોરી ગયામહેસાણા જિલ્લામાં આવેલા ખેરાલુ ખાતે રહેતા અને ડ્રાઇવિંગ કરતા સંધી ઈમ્તિયા ઝમિયાએ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, 3 ડિસેમ્બરના બપોરે 12 વાગે તેઓ નાનીવાડા ગામે આવેલા તેમના વાડા પર ગયા હતા. અને બકરાને ચારો નાખી પરત ખેરાલુ આવ્યા હતા.ત્યારબાદ એજ દિવસે સાંજે તેઓ પોતાના ભાગીદાર સાથે વાડામાં ગયા હતા અને રાત્રે 12 વાગે ઘરે પરત આવ્યા હતા. તસ્કરો ચોરી રફુચક્કર થયારાત્રી દરમિયાન વાડામાં બાંધેલા 22 બકરામાંથી 18 બકરા અજાણ્યા તસ્કરો ચોરી રફુચક્કર થઈ ગયા હતા. 4 ડિસેમ્બરના રોજ ફરિયાદીના માસીના દીકરો મોઇન જ્યારે વાડામાં ભેંસો દોહવા ગયો એ દરમિયાન બકરા જોવા ન મળતા તેણે ફરિયાદી ને ચોરી અંગે જાણ કરી હતી.ત્યારબાદ ફરિયાદી અને તેઓના ભાગીદાર ઘટના સ્થળે દોડી આવી જોયું ત્યારે 22 બકરામાંથી માત્ર ચાર બકરા વાડામાં બાંધેલા જોવા મળ્યા હતા.જ્યારે બાકીના 18 બકરા તસ્કરો ચોરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. ફરિયાદ નોંધાઈત્યારબાદ તેઓએ આસપાસના ગામોમાં તપાસ કરવા છતાં બકરા ક્યાંય ન મળી આવતા આખરે તેઓએ ખેરાલુ પોલીસ મથકમાં કુલ 1 લાખ 98 હજાર કિંમતના 18 બકરાની ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 7:57 pm

‘ઘરઘરાણું’ લગ્ન રિવાજને કાનૂની માન્યતા:જૂનાગઢ ફેમિલી કોર્ટનું ઐતિહાસિક અવલોકન, ભરણપોષણની અરજી ફરી સાંભળવા આદેશ

​હિંદુ મેરેજ એક્ટ હેઠળ પુનર્લગ્ન માટે પ્રચલિત ઘરઘરાણું વિધિની કાનૂની માન્યતા અંગેના એક મહત્વપૂર્ણ કેસમાં જૂનાગઢની ફેમિલી કોર્ટે ઐતિહાસિક અવલોકન કર્યું છે. નામદાર ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ આ અરજી ફરીથી સાંભળવામાં આવી હતી, જેમાં કોર્ટે તારણ આપ્યું છે કે રિવાજી 'ઘરઘરાણું' લગ્નવિધિ સમાજમાં માન્ય અને પ્રચલિત હોવાથી, ભરણપોષણના હક માટે મહિલાને કાયદાકીય સુરક્ષા મળવી જોઈએ. શું હતો સમગ્ર કેસ?આ કેસની શરૂઆત વર્ષ 2011માં થઈ હતી, જ્યારે પત્નીએ પોતાના પતિ સામે ભરણપોષણ (Section 125 CrPC હેઠળ)ની અરજી જૂનાગઢની ફેમિલી કોર્ટમાં દાખલ કરી હતી. વર્ષ 2013માં ફેમિલી કોર્ટે આ અરજી એ આધાર પર ફગાવી દીધી હતી કે, પત્ની કાનૂની રીતે લગ્ન સાબિત કરવામાં નિષ્ફળ રહી હતી. આ હુકમને પત્નીએ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો.માનનીય ગુજરાત હાઈકોર્ટે બંને પક્ષોને સાંભળીને જૂનાગઢ ફેમિલી કોર્ટના હુકમને રદ કર્યો અને આ અરજીને ફરીથી સાંભળવા માટે ફેમિલી કોર્ટને આદેશ આપ્યો હતો. હાઈકોર્ટના અવલોકનમાં સ્પષ્ટ થયું હતું કે મહિલાએ અગાઉના લગ્ન અંગેના નોટરી સમક્ષના છૂટાછેડાના દસ્તાવેજના આધારે સદ્ભાવનાથી નવા સંબંધમાં પ્રવેશ કર્યો હતો. ​સમુદાયમાં સ્વીકૃત 'ઘરઘરાણું' રિવાજ​જૂનાગઢ ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ જજ પ્રેમ હંસરાજ સિંહ દ્વારા આ કેસની ફરી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે નોંધ્યું હતું કે પ્રતિપક્ષ (પતિ) એ પણ પોતાના નિવેદનમાં સ્વીકાર્યું છે કે તેમના સમુદાયમાં 05.04.2011ના રોજ ગાયત્રી મંદિરમાં થયેલી 'ઘરઘરણું' વિધિ પ્રચલિત અને માન્ય રિવાજ છે. કોર્ટે ભગવદગોમંડળ વિશ્વકોશનો સંદર્ભ આપ્યો હતો, જેમાં 'ઘરઘરાઉ' શબ્દનું અર્થવ્યાખ્યાન 'પુનર્લગ્ન' તરીકે દર્શાવવામાં આવ્યું છે. ​ઘરઘરાણું લગ્નના સંજોગોમાં વર અથવા કન્યા વિધુર/વિધવા હોય,અનિવાર્ય પરિસ્થિતિઓને કારણે દ્વિતીય લગ્ન કરવાની જરૂર હોય,કુટુંબ પરંપરાગત વિધિઓનો ખર્ચ ઉઠાવી શકતું ન હોય,સામાજિક ટીકા ટાળીને શાંતિથી વિધિ કરવી હોય.કોર્ટે અવલોકન કર્યું કે, આ વિધિ પારંપરિક વૈદિક વિધિઓ (જેમ કે સપ્તપદી કે મંત્રોચ્ચાર) વગર, મર્યાદિત વિધિવિધાનો સાથે, પરંતુ સમાજમાં સ્વીકૃત પરંપરા તરીકે કરવામાં આવે છે. ​કાયદામાં રિવાજનું મહત્વ​જજ દ્વારા નોંધવામાં આવ્યું કે હિંદુ મેરેજ એક્ટમાં 'ઘરઘરાઉ'ની સ્પષ્ટ જોગવાઈ ન હોવા છતાં, ભારતીય કાયદો અને સંવિધાનની કલમ 13 હેઠળ રિવાજોને કાનૂનના એક ઘટક તરીકે માન્યતા આપે છે. હિન્દુ મેરેજ એક્ટની કલમ 7 મુજબ, કોઈપણ હિન્દુ લગ્ન પ્રચલિત રિવાજો અનુસાર કરવામાં આવે તો તે કાયદેસર માન્ય ગણાય છે. ​સુપ્રીમ કોર્ટના નિર્ણયો ટાંકીને કોર્ટે જણાવ્યું કે, ભરણપોષણની અરજીમાં લગ્ન કડક રીતે પુરવાર કરવાની જરૂર રહેતી નથી. પતિ-પત્ની તરીકે દંપતી સાથે રહેતા હોય તો કાયદો તેમને વૈવાહિક દંપતી માની શકે છે, જેથી સદ્ભાવનાથી સંબંધમાં પ્રવેશ કરનાર મહિલાને કાયદો સુરક્ષા આપે. ​આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને, ફેમિલી કોર્ટે તારણ કાઢ્યું કે રિવાજી વિધિથી થયેલ આ લગ્નને માત્ર તકનીકી કારણોસર અમાન્ય માનવાની કોઈ પરિસ્થિતિ ઊભી થતી નથી. રિવાજી વિધિ માન્ય હોવાથી, અરજદાર મહિલાના ભરણપોષણના હકને કાયદો સુરક્ષા આપે છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 7:54 pm

સુરતમાં પિસ્તોલ બતાવી રોફ જમાવવો યુવકને ભારે પડ્યો, VIDEO:ગુસ્સે ભરાયેલા લોકોએ જાહેરમાં મેથીપાક ચખાડ્યો, સચીન પોલીસે 3 કારતૂસ સાથે ઝડપી પાડ્યો

સુરત શહેરના સચીન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં નજીવી બાબતે થયેલા ઝઘડામાં એક યુવકે લોકોને ગેરકાયદેસર પિસ્તોલ બતાવી ડરાવવાનો અને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેનો આ રોફ જમાવવો ભારે પડ્યો અને ગુસ્સે ભરાયેલા લોકોએ તેને જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતા સચીન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ પિસ્તોલ કાઢી લોકોને ધમકાવવાનું શરૂ કર્યુંપ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના સચીન વિસ્તારમાં આકાશ કોમ્પ્લેક્સમાં આવેલી બાબા રામદેવ કિરાણા સ્ટોર સામે બની હતી. આરોપી પવનકુમાર ઉર્ફે રૂષીલાલ સંજયકુમાર પાલ (ઉ.વ. 22)એ જાહેરમાં કોઈ નજીવી બાબતે થયેલા ઝઘડામાં એક દેશી બનાવટની પિસ્તોલ કાઢી લોકોને ધમકાવવાનું શરૂ કર્યું હતું. ગુસ્સે ભરાયેલા લોકોએ યુવકને ઢોર માર માર્યોયુવક દ્વારા પિસ્તોલ બતાવવામાં આવતા શરૂઆતમાં તો લોકો ડરી ગયા હતા પરંતુ બાદમાં ગુસ્સે ભરાયેલા 4થી 5 લોકોએ યુવકને ઘેરી લીધો હતો અને તેને ઢોર માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, 3 જેટલા લોકો આરોપીને પકડીને માર મારી રહ્યા હતા. જ્યારે કેટલાક લોકો આ સમગ્ર ઘટનાને પોતાના મોબાઈલમાં કેદ કરી રહ્યા હતા. પોલીસે સ્થળ પર પહોંચી આરોપીને ઝડપી પાડ્યોઆ ઘટના અંગે જાણ થતા સચીન પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે આરોપી પનવકુમારને ઝડપી પાડ્યો હતો. આરોપીની અંગજડતી લેતા તેની કમરના ભાગેથી એક દેશી હાથ બનાવટની પિસ્તોલ નંગ 1 અને જીવતા કારતૂસ નંગ 3 મળી આવ્યા હતા. આરોપી બે મહિના પહેલાં જ યુપીથી સુરત આવ્યોઆરોપી પવનકુમાર પાલ હાલ પ્લોટ નં-38-39, આકાશ વિલા કોમ્પ્લેક્સ, વાંઝ ગામ, સચીન સુરત ખાતે રહે છે અને તે મૂળ યુપીના કાનપુર જિલ્લાના મંડોલી ગામનો વતની છે. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે તે આશરે બે મહિના પહેલાં જ યુપીથી સુરત આવ્યો હતો અને હોજીવાલા કમ્પાઉન્ડમાં સાડી ફોલ્ડિંગનું કામ કરે છે. પિસ્તોલ, કારતૂસ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબેજ કર્યોઆરોપીએ પોલીસને જણાવ્યું હતું કે, તે ગામમાં પશુપાલન કરતો હતો. જેના કારણે તેને પોતાની સુરક્ષા માટે આ પિસ્તોલ રૂપિયા 15 હજારમાં ખરીદી હતી. જોકે, આરોપી પવનકુમાર પાસે કોઈપણ પ્રકારનો હથિયાર પરવાનો ન હોવા છતાં તે ગેરકાયદે હથિયાર લઈને ફરતો હતો. પોલીસે આરોપી પાસેથી પિસ્તોલ, કારતૂસ અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબેજ કર્યો. પોલીસે આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને વધુ તપાસ કરી રહી છે. સચીન પોલીસે ગુનેગારને ઝડપી પાડી ગેરકાયદેસર હથિયારો ધરાવતા લોકો સામે કડક કાર્યવાહીનો દાખલો બેસાડ્યો છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 7:50 pm

ગીર સોમનાથમાં 15 ડિસેમ્બરે વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ:વિકસિત ભારત @2047 વિઝન માટે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાશે

રાજ્ય સરકારના 'વિકસિત ભારત @2047' સંકલ્પને સાકાર કરવાના હેતુથી, રાજ્યભરમાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ જિલ્લાકક્ષાનો કાર્યક્રમ આગામી 15 ડિસેમ્બર, 2025ના રોજ વેરાવળ ખાતેના આસોપાલવ લોન્સમાં બપોરે 3:00 કલાકે યોજાશે. આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સહિતના વિવિધ વિભાગોને જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આ રિજનલ કોન્ફરન્સ ગીર સોમનાથ જિલ્લાના ફિશરીઝ, ઇન્ડસ્ટ્રીઝ, હોટલ ઇન્ડસ્ટ્રી, ડેરી, ફૂડ પ્રોસેસિંગ અને કૃષિ જેવા ક્ષેત્રોની ભવ્ય ક્ષમતા રજૂ કરવા માટેનું એક મહત્વપૂર્ણ મંચ બની રહેશે. તેમણે ઉમેર્યું હતું કે, હાલમાં હોટલને પણ ઇન્ડસ્ટ્રીનો દરજ્જો મળ્યો હોવાથી, સોમનાથ જેવા પ્રવાસન હબમાં રહેલી તકોને ધ્યાનમાં રાખીને આ કોન્ફરન્સ ઉદ્યોગકારો, સ્ટાર્ટઅપ્સ અને લઘુ-મધ્યમ ઉદ્યોગકારો માટે નવી દિશા પૂરી પાડશે. ઉલ્લેખનીય છે કે, કચ્છ અને સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફરન્સનું આયોજન રાજકોટ ખાતે 8 અને 9 જાન્યુઆરી, 2026ના રોજ કરવામાં આવશે. ગીર સોમનાથનો આ જિલ્લાકક્ષાનો કાર્યક્રમ તે મોટી રિજનલ કોન્ફરન્સના પૂર્વ તબક્કા રૂપે યોજાઈ રહ્યો છે. જિલ્લા ઉદ્યોગ મેનેજર નરેન્દ્રસિંહ હેરમાએ કાર્યક્રમની વિગતવાર રૂપરેખા રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આયાત-નિકાસ, ફૂડ પ્રોસેસિંગ ટેક્નોલોજી, બેંકિંગ અને ફાઇનાન્સ વિષયક તજજ્ઞોની ઉપસ્થિતિમાં ઉદ્યોગને આગળ વધારવા માટે માર્ગદર્શન આપવામાં આવશે. આ કાર્યક્રમમાં હસ્તકળા, હાથશાળ, ફૂડ પ્રોસેસિંગ, પ્રાકૃતિક ખેતપેદાશ, બાગાયત, ખેતીવાડી વિભાગ, પી.જી.વી.સી.એલ., રોજગાર વિભાગ અને સખીમંડળ સહિતના વિવિધ વિભાગોના સ્ટોલ પણ ખુલ્લા મૂકવામાં આવશે. આયોજન બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, ચેમ્બર ઓફ કોમર્સ, જી.આઈ.ડી.સી. ઉદ્યોગ એસોસિએશન, આઈસ પ્લાન્ટ એસોસિએશન અને હોટેલ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ખેતીવાડી, પી.જી.વી.સી.એલ., રોજગાર અને મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 7:49 pm

મોરબીમાં વરસાદી પાણી ગટરમાં નાખવા સામે ચક્કાજામ:નાની વાવડી ગામ નજીક સુમતિનાથ સોસાયટીના રહીશોએ ગટર ઉભરાવાની ભીતિએ રસ્તો રોક્યો

મોરબીના નાની વાવડી ગામ નજીક આવેલી સુમતિનાથ સોસાયટીના રહીશોએ રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સોસાયટી સામેના ખેતરમાં ભરાયેલા વરસાદી પાણીનો ગટરમાં નિકાલ કરવાની કામગીરી સામે સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ચક્કાજામના કારણે વાવડી ગામથી વાવડી ચોકડી સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. રહીશોના જણાવ્યા અનુસાર, સુમતિનાથ સોસાયટી સામેના ખેતરમાં ચોમાસાથી વરસાદી પાણી ભરાયેલું છે. હાલમાં જેસીબીની મદદથી આ પાણીનો સોસાયટીની ગટરમાં નિકાલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. સ્થાનિકોનો મુખ્ય વાંધો એ છે કે જો આ વરસાદી પાણી ગટરમાં છોડવામાં આવશે, તો તેમની ગટર ઉભરાવાની હાલની સમસ્યામાં વધારો થશે. તેમણે જણાવ્યું કે તેમના વિસ્તારમાં પહેલેથી જ ગટર ઉભરાવા જેવી સમસ્યાઓ પ્રવર્તી રહી છે. રહીશોએ માંગ કરી છે કે આ વરસાદી પાણીનો ગટરમાં નિકાલ ન કરવામાં આવે અને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 7:47 pm

ST વર્કશોપ માંથી દારૂનો જથ્થો ઝડપાયો:શહેરના પાનવાડી ST વર્કશોપના ગોડાઉન-સ્ટોર વિભાગમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો, ​બ્લેન્ડર, રોયલ સ્ટેગ સહિતની બોટલો મળી, નીલમબાગ પોલીસ ટીમ દ્વારા સર્ચ ઓપરેશન

ભાવનગર શહેરના ભાવનગર એસ.ટી. વર્કશોપ માંથી વિદેશી દારૂનો મસમોટો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. નીલમબાગ પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ દ્વારા વર્કશોપમાં રેડ કરવામાં આવતા આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ થયો હતો, વર્કશોપના સ્ટોરેજ અને વોશરૂમમાંથી દારૂ છુપાવેલો મળ્યો ​આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ST વર્કશોપના સ્ટોરેજ વિભાગ અને વોશરૂમ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. નીલમબાગ પોલીસના ડી-સ્ટાફની ટીમે બાતમીના આધારે આ રેડ કરી હતી અને મોટી માત્રામાં દારૂની બોટલો જપ્ત કરી હતી. ડ્રાઈવરોની પેટીઓમાંથી દારૂ મળ્યો ​આ સમગ્ર ઘટના અંગે જ્યારે ST ના ડેપો મેનેજરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે એક ખુલાસો કર્યો હતો કે ડેપો મેનેજરના કહેવા આ વર્કશોપમાં બસના ડ્રાઇવરોની અંગત વસ્તુઓ રાખવાની પેટીઓ હોય છે. પોલીસને દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો આ ડ્રાઈવરોની પેટીઓમાંથી જ મળી આવ્યો છે. ​હાલમાં પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ દારૂ કોનો છે તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે. આ બનાવ અંગે સિટી ડીવાયએસપી આર.આર.સિંધાલ એ જણાવ્યું હતું કે, આગામી 31st ડિસેમ્બર જે હોય જેના અનુસંધાને પ્રોહિબિશનની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે એસ.પી. ની સીધી દેખરેખ હેઠળ જે પોલીસ સ્ટેશનના જુદા જુદા એરિયામાં સતત રેડ ચાલુ હોય તે દરમિયાન જે નીલમબાગ પોલીસ સ્ટેશનનો જે પાનવાડી એસ.ટી. વર્કશોપ જે છે ત્યાં આવી પ્રવૃત્તિ ચાલતી હોવાની જે બાતમી મળેલી જે અનુસંધાને ડી-સ્ટાફ પી.એસ.આઈ. અને તેની ટીમને આ એરિયામાં મોકલવામાં આવેલા છે અને આ એરિયાના જે છે એસ.ટી. વર્કશોપની ગોડાઉન એરિયા, સ્ટોર વિભાગ, વોશ એરિયા તથા ડ્રાઇવરો જે ઊભી હોય તેની પેટીનું ચેકિંગ હાલમાં ચાલુ છે અને એ ચેકિંગ અનુસંધાને ત્યાં બ્લેન્ડર છે, રોયલ સ્ટેગ, સિગ્નેચર, ઓલ્ડ મંક એ જુદા જુદા જે પ્રોહીબિશનની જે બોટલો જે છે તે મુદ્દામાલ કબજે કરવાની કામગીરી હાલમાં ચાલુ છે અને ત્યાં પી.એસ.આઈ. અને એની ટીમ હાલમાં સર્ચ કામગીરી હાલમાં ચાલુ છે અને ત્યાંથી પ્રોહીબિશનનો મુદ્દામાલ મળેલો છે આ બાબતે ગુનો નોંધી અને જે બી આરોપીઓ જે છે તેને અટક કરવાની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 7:45 pm

રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં:ટીબીના દર્દીનું દાઝી જતા મોત, પોલીસે કહે છે- બીડી પીતા દાઝી જવાથી મૃત્યુ છતાં પોસ્ટમોર્ટમ વિના મૃતદેહ સોંપી દીધો ! સિવિલ અધિક્ષકનું તપાસ કમિટી રચ્યાનું

રાજકોટની સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ વિવાદોમાં આવતી હોય છે. ત્યારે ફરી એક નવો વિવાદ સામે આવ્યો છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા ટીબીના દર્દીનું ભેદી આગમાં મોત નિપજ્યું છે. આ મામલે પોલીસે કહ્યું કે, બીડી પીતા દાઝી જવાથી મૃત્યુ થયું છે. છતાં પોસ્ટમોર્ટમ વિના મૃતદેહ સોંપી દેવાયો હતો જેને લઈ અનેક સવાલો લોકોમાં ઉઠ્યા છે. જોકે સિવિલ અધિક્ષકે આ મામલે તપાસ કમિટીની રચના કરી હોવાનું અને એક સપ્તાહ બાદ તેનો રિપોર્ટ આવ્યા બાદ આગળ કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું રટણ કર્યું હતું. આ પહેલા પણ આ પ્રકારની દુર્ઘટના બની હતી. જેમાં એક દર્દીનું વેન્ટિલેટર ચાલુ હતું ત્યારે આગ લાગતા તે દાઝી ગયા હતા. જેની તપાસમાં વેન્ટીલેટર કે ઇલેક્ટ્રિક ફિટિંગ બંનેમાં કોઈ ખામી નહીં હોવાનો રિપોર્ટ આવ્યો છે ત્યારે આ મામલે શુ રિપોર્ટ આવશે તે જોવું રહ્યું. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ સિવિલ હોસ્પિટલના ટીબી વોર્ડમાં દાખલ પ્રૌઢ દર્દી 2 ડિસેમ્બરના ભેદી સંજોગોમાં દાઝી ગયા હતા, જેમનું તા.5ના સારવાર દરમિયાન મૃત્યું થયું હતું. ટીબીના દર્દી રાત્રિના બીડી પીતી વખતે દાઝી ગયાની ડોક્ટરે પોલીસમાં નોંધ કરાવી હતી. દર્દીનું મૃત્યુ થયા બાદ પોસ્ટમોર્ટમ કરાવવું ફરજિયાત હોવા છતાં પોલીસે પીએમ કરાવ્યા વગર મૃતદેહ સ્વજનોને સોંપી દીધો હતો. ત્યારે બીડી પીતા નહીં પરંતુ કોઇ ઇલેક્ટ્રિક સ્પાર્કથી દર્દી દાઝ્યાની દૃઢ શંકા સેવાઇ રહી છે. સિવિલ તંત્ર અને પોલીસની મિલીભગતથી પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર મૃતદેહ સોંપી દીધાના આરોપો લાગી રહ્યા છે. મોરબીમાં રહેતા કાકુભાઇ કરશનભાઇ નામના 65 વર્ષના પ્રૌઢને ગત તારીખ 28 નવેમ્બરના રાજકોટની સિવિલ હોસ્પિટલના ટીબી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગત તા.2 ડિસેમ્બરના બપોરે 1.05 વાગ્યે હોસ્પિટલના ડોક્ટર આઇ આદિત્ય નાયડુએ હોસ્પિટલ પોલીસ ચોકીમાં જાણ કરી હતી કે, તા.2ની રાત્રિના 3 વાગ્યે દર્દી કાકુભાઇ પોતાના બેડ પર બીડી પીતા આકસ્મિક દાઝી ગયા છે, તેમજ તા.5ના બપોરે 4.20 વાગ્યે તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. પોલીસે પણ ડોક્ટરે કરેલી જાહેરાતની નોંધ કરી હતી અને પોલીસે એવી પણ નોંધ કરી હતી કે, મૃતકના વાલીવારસ પોસ્ટમોર્ટમ કરાવવા માગતાં ન હોય જેથી પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું નથી. જોકે કાયદા મુજબ કોઇપણ ઉંમરની વ્યક્તિ કોઇ પણ રીતે દાઝી ગઇ હોય અને તેનું મૃત્યુ થાય તો પોસ્ટમોર્ટમ કરાવવું ફરજિયાત છે, પરંતુ પોલીસે આ કિસ્સામાં કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું. ફાયર સ્ટાફે આ મામલે તબીબી અધિક્ષકને રિપોર્ટ આપ્યો હતો, તેમાં પણ સ્પાર્ક થવાથી આગ લાગ્યાની શંકા દર્શાવવામાં આવી છે. સિવિલ અધિક્ષક ડો. મોનાલી માંકડિયાએ જણાવ્યું હતું કે, ઘટનાની તપાસ માટે એક તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીનો રિપોર્ટ મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક કારણો અંગેનો ખુલાસો પણ કમિટીના રિપોર્ટ પછી જ કરવામાં આવશે. હોસ્પિટલના નિયમો મુજબ બીડી પીવાની કોઈપણ હિસાબે છૂટ નથી. આગ લાગવાના કારણ અંગે તેમણે જણાવ્યું કે, કોઈ પણ સ્પાર્ક જો ઓક્સિજનના સંપર્કમાં આવે તો આગ લાગી શકે છે, જે એક સામાન્ય નિયમ છે. જોકે, વેન્ટિલેટરમાં ઓક્સિજનનો ફ્લો કેટલો હતો, બીડી ક્યાં હતી, અને કેવી પરિસ્થિતિ હતી તેની સંપૂર્ણ જાણકારી મેળવ્યા વગર તેઓ આ અંગે કોઈ ચોક્કસ નિવેદન આપી શકે તેમ નથી, દર્દીનું પીએમ (પોસ્ટમોર્ટમ) કરાવવું ફરજિયાત હોય છે. જોકે પોતે પ્લાસ્ટિક સર્જન છે અને વેન્ટિલેટર તથા ઓક્સિજન સંબંધિત બાબતો માટે અલગ ડોક્ટર્સ હોય છે, તેથી ઓક્સિજનના ફ્લો વગેરે વિશે નિષ્ણાત રિપોર્ટ વિના તેઓ માહિતી આપી શકે નહીં. કમિટીનો રિપોર્ટ એક સપ્તાહમાં મળી જવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, અહીં ટીબીના પ્રૌઢ દર્દી કાકુભાઇને ઓક્સિજન આપવામાં આવી રહ્યો હતો અને ચહેરા પર માસ્ક લગાવાયું હતું તો તે બીડી કેવી રીતે પી શકે? આ સહિતના સવાલો ઉઠી રહ્યા છે. તેમાં પણ નિયમ મુજબ દાઝી જતા મોત થાય તેવા દર્દીનું પોસ્ટમોર્ટમ ફરજિયાત હોવા છતાં આ કિસ્સામાં પોસ્ટમોર્ટમ નહીં થતા તે વાત પણ શંકા ઉપજાવે છે. જોકે સિવિલ અધિક્ષક દ્વારા પણ તપાસ ચાલુ છે'નું રટણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ મામલે જવાબદારો સામે પગલાં લેવાશે કે ભીનું સંકેલાઈ જશે તે આવનારો સમય જ બતાવશે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 7:39 pm

મતદાર યાદી સુધારણામાં 99.91% કામગીરી પૂર્ણ:જૂનાગઢમાં 1.51 લાખ 'અનકલેક્ટેબલ' ફોર્મ્સ નોંધાયા, ASD યાદી ચકાસવા મતદારોને અપીલ

ભારતના ચૂંટણી પંચ દ્વારા આયોજિત ખાસ સઘન સુધારણા કાર્યક્રમ 2025 હેઠળ જૂનાગઢ જિલ્લામાં મતદાર યાદીને સંપૂર્ણપણે શુદ્ધ કરવાની કામગીરી તેના અંતિમ ચરણમાં પહોંચી ચૂકી છે. જિલ્લા વહીવટી તંત્રની સઘન મહેનત અને વ્યવસ્થિત આયોજનના પરિણામે જૂનાગઢ જિલ્લામાં એકંદરે 99.91 ટકા જેટલી નોંધપાત્ર પ્રગતિ નોંધાઈ છે. જિલ્લામાં કુલ 13,00,344 મતદારો પૈકી 11,47,350 (88.23%) મતદારોના ગણતરી ફોર્મ ડિજિટાઇઝ્ડ થઈ ચૂક્યા છે. સમગ્ર જિલ્લામાં હવે માત્ર 1,022 મતદારોના ગણતરી ફોર્મની કામગીરી જ બાકી છે. કેશોદ, માંગરોળ અને વિસાવદર જેવા વિધાનસભા ક્ષેત્રોમાં તો 100 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. મતદારોને ખાસ અપીલ તાત્કાલિક પોતાની મતદાર વિગતોની ચકાસણી કરેજિલ્લામાં 1,51,895 (11.68%) ફોર્મ્સ 'અનકલેક્ટેબલ' તરીકે નોંધાયા છે, જેમાં મૃત્યુના 52,747, ગેરહાજર 22,710, સ્થળાંતરિત 69,646, ડુપ્લિકેટ 6,264 તથા અન્ય કારણસર 528 ફોર્મ્સનો સમાવેશ થાય છે. આ 'અનકલેક્ટેબલ' કેટેગરીમાં સમાવેશ પામેલા મતદારોના નામો તા. 16 ડિસેમ્બર 2025ના રોજ પ્રસિદ્ધ થનારી ડ્રાફ્ટ યાદીમાંથી દૂર થઈ શકે છે. તેથી, મતદારોને ખાસ અપીલ કરવામાં આવે છે કે તેઓ તાત્કાલિક પોતાની મતદાર વિગતોની ચકાસણી કરે.મતદારોની જાણકારી માટે તા. 9 ડિસેમ્બર 2025થી જિલ્લાની વેબસાઇટ https://junagadh.nic.in પર અનકલેક્ટેબલ કેટેગરીની સંભવિત ASD (Absent, Shifted, Dead) યાદી ઉપલબ્ધ થશે. જો કોઈ મતદારનું નામ આ યાદીમાં હોય અને તે હજુ પણ જુનાગઢ જિલ્લાના મતદાર તરીકે યોગ્ય હોય, તો તેઓએ પોતાના બુથ લેવલ ઓફિસર (BLO) નો સંપર્ક કરી જરૂરી સુધારણા કરી લેવી જોઈએ. ખોટી વિગત સાથે ગણતરી ફોર્મ ભરે, તો તેના વિરુદ્ધ કાર્યવાહી થશેઆ અંગેની બેઠક જૂનાગઢ જિલ્લાના મતદાન મથકો પર BLO અને રાજકીય પક્ષોના બુથ લેવલ એજન્ટ (BLA), રાજકીય આગેવાનોની વચ્ચે પણ યોજવામાં આવી હતી, જેમાં ASD યાદી BLA ને હાર્ડ કોપીમાં આપવામાં આવી હતી.વહીવટી તંત્રે સ્પષ્ટપણે ચેતવણી આપી છે કે જો કોઈ વ્યક્તિ ASD કેટેગરી (ગેરહાજર, સ્થળાંતર, મૃત્યુ) હોવા છતાં ખોટી વિગત સાથે પોતાનું કે પરિવારજનનું ગણતરી ફોર્મ ભરે, તો તેના વિરુદ્ધ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1950ની કલમ 31 હેઠળ કાર્યવાહી થઈ શકે છે. આ કલમ હેઠળ ગુનો સાબિત થવા પર એક વર્ષ સુધીની જેલ કે દંડ અથવા બંનેની સજા થઈ શકે છે. મતદારોને અપીલ છે કે તેઓ ASD યાદીની ચકાસણી તાત્કાલિક કરે અને જો કોઈ ભૂલ જણાય તો BLO નો સંપર્ક કરી શકે છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 7:35 pm

નીતિ-નિયમોને નેવે મૂકનાર ડીલર સામે કાર્યવાહી:વડોદરામાં હેલ્મેટ વગર વેચાણ કરનાર હિરુચિ મોટર્સ સામે કાર્યવાહી, ટ્રેડ સર્ટિફિકેટ સસ્પેન્ડ

વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં વધતા અકસ્માતના બનાવોને લઈ મોટર વાહન ડીલરો પાસે ટુ-વ્હીલર વાહન માટે હેલ્મેટ આપવું ફરજિયાત છે ત્યારે આ નિયમોને નેવે મૂકી ટુ-વ્હીલર વાહનોનો વેપલો ચલાવનાર વડોદરાના એક ડીલર સામે કમિશનર કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ટુ-વ્હીલર વાહન ડીલરો માટે વાહન સાથે હેલ્મેટ આપવું ફરજિયાતવડોદરા શહેરમાં ટુ-વ્હીલર વાહન ડીલરો માટે વાહન સાથે હેલ્મેટ આપવું ફરજિયાત છે. ત્યારે આ નિયમોને નેવે મૂકી હેલમેટ અને નંબર પ્લેટ વગર વાહનોનું વેચાણ કરતા હિરુચિ મોટર્સ કે જેઓ બજાજ ટુ વ્હીલર શો રૂમ ધરાવે છે તેઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. હેલ્મેટ અને નંબર પ્લેટ વગર વેચાણ કરતા હોવાની વિગતો આરટીઓ વિભાગને મળતા આ અંગે તપાસ કરતા સમગ્ર બાબત સામે આવી હતી. અન્ય ડીલરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છેઆ કાર્યવાહીમાં કમિશનર કચેરી દ્વારા હિરુચિ મોટર્સ સામે 7 દિવસ માટે TC(Trade Certificate ) સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી સામે અન્ય ડીલરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે જીવન રક્ષક સમાન હેલ્મેટ પહેરવા ટ્રાફિક પોલીસ કમર કસી રહી છે ત્યારે આવા ડીલરો બેફામ લોકો સાથે છેતરપિંડી આચરી રહ્યા છે ત્યારે આ મામલે કાર્યવાહી થાય તે ખુબ જરૂરી હતી. મોટર વાહન કાયદા મુજબ દરેક ટુ વ્હીલર વેચાણ કરતા ડીલર વાહન સાથે રોડ સેફ્ટી અંતર્ગત હેલ્મેટ આપવું ફરજિયાત છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 7:29 pm

દિલ્હી ચકલા ભાડભુજા હાડવૈધ દવાખાનામાં આગ લાગી:ફાયર બાદ મ્યુ.કોર્પોરેશને આખી બિલ્ડિંગ ખાલી કરાવી દવાખાનું સીલ કર્યું

અમદાવાદ શહેરના દિલ્હી ચકલા વિસ્તારમાં આવેલા પ્રખ્યાત એવા ભાડભુજા હાડવૈધ નામના દવાખાનામાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળ પર પહોંચ્યું હતું અને આગને કામાં લીધી હતી, જોકે સામાન્ય શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. આગ લાગવાની ઘટનાને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા આખી બિલ્ડીંગ ખાલી કરાવી દવાખાનાને સીલ કરી દેવામાં આવ્યું છે. ફાયર એનઓસીની પૂર્તતા અને ઈલેક્ટ્રીક લોડ વગેરે અંગેની તપાસ બાદ જ સીલ ખોલવાની કાર્યવાહી કરવામાં આવશે. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું જાણવા મળ્યુંમળતી માહિતી મુજબ શહેરના દિલ્હી ચકલા વિસ્તારમાં ભાડભુજા હાડવૈધ દવાખાનાના બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની હતી. કેટલાક દર્દીઓ ત્યાં સારવાર માટે આવ્યા હતા તાત્કાલિક લોકો બહાર નીકળી ગયા હતા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની બે ગાડી ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. હાલમાં બિલ્ડિંગ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવીઆ બિલ્ડીંગમાં આગ લાગતા મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી. ફાયર NOC અને બિલ્ડીંગ ગેરકાયદેસર હતું, જેથી તેને ઇમ્પેક્ટ ફીમાં મંજૂર કરાવ્યું હતું. ત્યારે હાલમાં બિલ્ડિંગ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. તમામ પ્રકારની ફાયર સેફટીને લઈને પૂર્તતા કર્યા બાદ સીલ ખોલવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 7:26 pm

જેટકો અધિકારીઓ સામે ફરિયાદ રદ કરવા માંગ:મોરબી જીઈબી એન્જિનિયર એસોસિએશને SPને આવેદનપત્ર આપ્યું

મોરબી જીઈબી એન્જિનિયર એસોસિએશને માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં જેટકોના અધિકારીઓ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ રદ કરવા માટે એસપીને આવેદનપત્ર સુપરત કર્યું છે. આ ફરિયાદ વર્ષ ૨૦૧૮માં ૧૩૨ કેવી મોટા દહીંસરા લીલો લાઇનના કામ બાબતે નોંધવામાં આવી હતી. એસોસિએશનના જણાવ્યા અનુસાર, આ ફરિયાદ આશરે આઠ વર્ષ પછી દાખલ કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન લિમિટેડ (GETCO) દ્વારા ૧૩૨ કેવી D/C લીલો મોટા દહીંસરા લાઇનનું કામ જાહેર હિતમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ લાઇન અને સબસ્ટેશનની સુવિધાથી માળીયા તાલુકાના લોકોની સુખાકારીમાં વધારો થયો છે. એસોસિએશને દાવો કર્યો છે કે, આ ફરિયાદ એક વ્યક્તિની કથિત સહી અને બે ભાઈઓ વચ્ચેના જમીન વિવાદને કારણે દાખલ કરવામાં આવી છે. જેટકો દ્વારા લાઇનના કામમાં કોઈ ગેરરીતિ ન હોવાના પત્રોને અવગણીને, જેટકો ઓથોરિટીની પૂર્વ મંજૂરી વગર અને અધિકારીઓની જાણ બહાર તથા પૂરતી તપાસ કર્યા વગર ફરિયાદ દાખલ થઈ છે. આથી, ખોટી રીતે દાખલ કરવામાં આવેલી આ એફઆઈઆર તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 7:25 pm

સલાયામાં 7 લાખની ચીલઝડપ કરનાર બે આરોપી ઝડપાયા:ખંભાળિયાના વેપારી પાસેથી થયેલી ઉઠાંતરીનો ભેદ ઉકેલાયો

ખંભાળિયા તાલુકાના સલાયા ગામેથી તાજેતરમાં એક વેપારી યુવાનના 7 લાખ રૂપિયાની રોકડ રકમ ભરેલા થેલાની ઉઠાંતરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે બે રીઢા ગુનેગારોને અમદાવાદથી ઝડપી પાડ્યા છે અને મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓને રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના 19 તારીખે બની હતી. ખંભાળિયામાં રહેતા અને સલાયા ખાતે વેસ્ટર્ન યુનિયન મની ટ્રાન્સફરની ઓફિસ ધરાવતા કિરીટભાઈ વલ્લભદાસ બદીયાણી અને અતુલભાઈ વલ્લભદાસ બદીયાણી નામના બે ભાઈઓ તેમની સલાયામાં મેઈન બજાર ખાતે આવેલી દુકાનમાં પહોંચ્યા હતા. ત્યારે દુકાનનું તાળું ખોલતી વખતે તેમણે 7 લાખ રૂપિયા ભરેલો થેલો બાજુમાં રાખ્યો હતો. આ થેલો બાઈક પર ધસી આવેલા બે શખ્સો ઉઠાંતરી કરીને લઈ ગયા હતા. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલ.સી.બી., એસ.ઓ.જી. તથા સલાયા મરીન પોલીસની ટીમે સઘન કાર્યવાહી હાથ ધરી હતી. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસના આધારે પોલીસે આ પ્રકરણના મુખ્ય સૂત્રધારો એવા એજાજ રજાક સંઘાર અને જાકુબ જુનસ સુંભણીયા નામના બે શખ્સોને અમદાવાદ ખાતેથી દબોચી લીધા હતા. આરોપીઓ પાસેથી 1,35,000 રૂપિયા રોકડા તેમજ બે મોબાઈલ ફોન પણ કબજે લેવામાં આવ્યા છે. આરોપીઓની વધુ તપાસ અર્થે સલાયા પોલીસે તેમને અહીંની કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. નામદાર અદાલતે આરોપી એજાજ રજાક સંઘારના સાત દિવસના અને જાકુબ સુંભણીયાના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે મુખ્ય આરોપી એજાજ સંઘાર ઉપર 16થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 7:21 pm

પોરબંદરમાં 90 દિવસમાં શ્વાન કરડવાના 1771 કેસ:તંત્ર દ્વારા ફીડિંગ ઝોન અને સ્ટરિલાઈઝેશન કાર્યવાહી તેજ

પોરબંદર શહેરમાં છેલ્લા 90 દિવસમાં શ્વાન કરડવાના 1771 કેસ નોંધાયા છે, જેના કારણે નગરજનોમાં ભયનો માહોલ છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોરબંદર મહાનગરપાલિકાનું તંત્ર સક્રિય બન્યું છે અને તાત્કાલિક પગલાં લઈ રહ્યું છે છેલ્લા કેટલાક મહિનાઓથી રખડતા શ્વાનો દ્વારા હુમલાના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નગરપાલિકાના સત્તાવાર આંકડા આ પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે. સુપ્રીમ કોર્ટ, રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ કાર્યવાહીપોરબંદર મહાનગરપાલિકાના કમિશનરે જણાવ્યું હતું કે, શ્વાનોની વધતી અવરજવર અને હુમલાઓને કાબૂમાં લેવા માટે તંત્ર સુપ્રીમ કોર્ટ અને રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ કામ કરી રહ્યું છે. શહેરમાં વ્યવસ્થા જાળવવા ફીડિંગ ઝોન, પકડ કામગીરી અને સ્ટરિલાઈઝેશન ડ્રાઈવને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ શહેરમાં નિયમિત ડોગ ફીડિંગ ઝોન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ માટે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં નિર્ધારિત પોઈન્ટ નક્કી કરાશે અને ફીડર્સ માટે નિયમો તથા સમયસીમા પણ નક્કી કરવામાં આવશે. આનાથી ગેરવ્યવસ્થિત ખોરાક આપવાથી થતા હુમલાઓમાં ઘટાડો થવાની અપેક્ષા છે. શ્વાનોને પકડવા મહાનગરપાલિકાની બે વિશેષ ટીમો સક્રિયઆક્રમક શ્વાનોને પકડવા માટે મહાનગરપાલિકાની બે વિશેષ ટીમો સક્રિય કરવામાં આવી છે. આ ટીમો બજાર વિસ્તાર, શાળાઓ અને કોલેજ વિસ્તારમાં રખડતા તથા ગંભીર રીતે આક્રમક શ્વાનોને તાત્કાલિક કાબૂમાં લઈ રહી છે. આવા શ્વાનોને રાખવા માટે ગૌશાળામાં ખાસ પાંજરા બનાવવાનો પ્રસ્તાવ પણ સિદ્ધાંત રૂપે મંજૂર કરવામાં આવ્યો છે. આક્રમક શ્વાનોને પકડતી ટીમોની સલામતી સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા નવી સાધન સામગ્રી ખરીદવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં મજબૂત હડકવાની રસ્સી અને સુરક્ષા સાધનોનો સમાવેશ થાય છે. મોટા પાયે સ્ટરિલાઈઝેશન અભિયાન ફરી શરૂ કરવાની તૈયારીઓશ્વાનોની વધતી વસ્તીને નિયંત્રિત કરવા માટે મોટા પાયે સ્ટરિલાઈઝેશન અભિયાન ફરી શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. અગાઉ ટેન્ડર ન મળવાને કારણે આ કામ અટક્યું હતું, પરંતુ હવે ફરીથી ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. એક પ્રોફેશનલ એજન્સીને સ્ટરિલાઈઝેશન, રેસ્ક્યુ અને ફીડિંગ ઝોન સંચાલનની જવાબદારી સોંપવામાં આવશે. તંત્રને વિશ્વાસ છે કે આ તમામ સંયુક્ત પગલાંઓથી પોરબંદરમાં શ્વાન ત્રાસમાં ઘટાડો થશે. આગામી સમયમાં શહેર વધુ સુરક્ષિત, સ્વચ્છ અને વ્યવસ્થિત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 7:18 pm

દ્વારકાની એક્સિસ બેન્કમાં ગોલ્ડ લોન કૌભાંડ:હલકી ગુણવત્તાનું સોનું આપી 97 લાખની છેતરપિંડી, વેલ્યુઅરે બનાવ્યો ખોટો રિપોર્ટ; 10 સામે પોલીસ ફરિયાદ

દ્વારકાની એક્સિસ બેન્કમાં નબળી ગુણવત્તાનું સોનું આપી રૂ.97 લાખથી વધુની ગોલ્ડ લોન મેળવી છેતરપિંડી આચરવામાં આવી છે. આ મામલે બેન્કના મેનેજરે સુનિયોજિત કાવતરું રચનારા 10 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જામનગરના વતની અને દ્વારકાની ભદ્રકાલી ચોક પાસે આવેલી એક્સિસ બેન્કના મેનેજર યોગેશકુમાર દિનેશચંદ્ર વાગડીયા (ઉ.વ. 45) એ આ ફરિયાદ નોંધાવી છે. તેમણે ભલા નાથા ખાંભલીયા, એસ.કે. મુસ્તફા, અજીમ હફીજ મુલ્લા, ભીમ બીજલી, રાજેશ ધોરીયા, કાદર રહીમ અલી, અકીબ અજીમ મુલ્લા, રજીયા અજીમ મુલ્લા, સોમા ભીખા નાગેશ અને અક્ષય ગોરધનદાસ ધાણક સામે દ્વારકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે. ફરિયાદ મુજબ, વર્ષ 2020 થી 2021 દરમિયાન આરોપીઓએ આર્થિક લાભ મેળવવા માટે ગોલ્ડ લોન લેવાનું કાવતરું ઘડ્યું હતું. તેમણે બેન્કમાં ઓછા કેરેટનું અને નબળી ગુણવત્તાવાળું સોનું રજૂ કર્યું હતું. એક્સિસ બેન્ક (દ્વારકા શાખા) દ્વારા નિયુક્ત કરાયેલા વેલ્યુઅર અક્ષય ગોરધનદાસ ધાણકે ઓછા કેરેટના સોનાને ઉચ્ચ ગુણવત્તાનું દર્શાવી ખોટો વેલ્યુએશન રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ રીતે, લોનધારકો સાથે મિલીભગત કરીને બેન્ક સમક્ષ બોગસ રિપોર્ટ રજૂ કરાયો હતો. આ પ્રકારે, આરોપીઓએ જુદી જુદી ગોલ્ડ લોન દ્વારા કુલ રૂ. 97,17,900 ની રકમ ઉપાડી એક્સિસ બેન્ક સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. દ્વારકા પોલીસે તમામ 10 આરોપીઓ સામે આઈ.પી.સી. કલમ 120 (બી), 406, 420, 467, 468 અને 471 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઈ. એન.એસ. ગોહિલને સોંપી છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 7:10 pm

અરવલ્લી SOGએ મોડાસામાંથી 8.47 લાખનો ગાંજો ઝડપ્યો:ખેડૂતના ખેતરમાંથી 3 છોડ અને 16.950 કિલો સૂકો ગાંજો મળ્યો

અરવલ્લી જિલ્લા SOGએ મોડાસાના માથાસુલિયા ગામેથી મોટી માત્રામાં ગાંજો ઝડપી પાડ્યો છે. પોલીસે એક ખેડૂતના ખેતરમાંથી 8.47 લાખ રૂપિયાની કિંમતનો 16.950 કિલો સૂકો ગાંજો અને ત્રણ ગાંજાના છોડ જપ્ત કર્યા છે. અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, SOGની ટીમને બાતમી મળી હતી કે મોડાસાના માથાસુલિયા ગામે રામજી મણાજી પગી પોતાની માલિકીની જમીનમાં પ્રતિબંધિત ગાંજાનું વાવેતર કરી રહ્યા છે. બાતમીના આધારે, SOGની ટીમે રામજી પગીના ખેતરમાં તપાસ કરતા ગાંજાના ત્રણ છોડ મળી આવ્યા હતા. આ ઉપરાંત, તેમના ઘરના છાપરા પર પ્લાસ્ટિકની થેલીઓમાં રાખેલો 16.950 કિલો સૂકો ગાંજો પણ મળી આવ્યો હતો, જેની બજાર કિંમત આશરે 8.47 લાખ રૂપિયા છે. પોલીસે ખેતર માલિક રામજી મણાજી પગીની ધરપકડ કરી છે. તેમની સામે NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 7:08 pm

મોડપર ગામે રિલાયન્સ દ્વારા નવનિર્મિત મંદિરનું લોકાર્પણ:મંગળેશ્વર મહાદેવ મંદિરનું સ્થાપત્ય સુંદર અને આધુનિક સુવિધાઓથી સજ્જ, અગિયાર દંપત્તિઓએ ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો

જામનગરના લાલપુર તાલુકાના મોડપર ગામે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા નવનિર્મિત મંગળેશ્વર મહાદેવ મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગ્રામજનો અને ગ્રામ પંચાયતની વિનંતી સ્વીકારીને, ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ આ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ કરાયું હતું. ચાલુ વર્ષે જાન્યુઆરી માસમાં શિલાન્યાસ સમારંભ યોજાયો હતો. ત્યારથી લઈને તાજેતરમાં થયેલા હસ્તાંતરણ સુધીની પ્રક્રિયામાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પરંપરાગત ધાર્મિક વિધિઓ સાથે યોજાયેલા હસ્તાંતરણ સમારંભમાં આ નવું મંદિર સત્તાવાર રીતે ગ્રામ પંચાયત અને ગ્રામજનોને અર્પણ કરાયું હતું. પ્રભુની પુન: પધરામણીના પ્રસંગે ગામના અગિયાર દંપત્તિઓએ વિધિવત ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ગામ સમસ્ત દ્વારા સમૂહ ભોજન-પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેણે સંપ અને સહકારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. નવનિર્મિત મંગળેશ્વર મહાદેવ મંદિરનું સ્થાપત્ય સુંદર અને આધુનિક સુવિધાઓથી સજ્જ છે. શાંત, પવિત્ર અને આધ્યાત્મિક વાતાવરણ ધરાવતું આ મંદિર આગામી સમયમાં પૂજા, ધાર્મિક પ્રસંગો અને સાંસ્કૃતિક મેળાવડાઓ માટે ગામનું મહત્વનું કેન્દ્ર બનશે. આ પ્રયાસથી ગામમાં સામાજિક એકતા અને સંવાદિતા વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરાઈ છે. રિલાયન્સ દ્વારા મોડપર ગામના ધાર્મિક અને સામાજિક વિકાસ માટે કરવામાં આવેલી આ સેવા કામગીરીને ગ્રામજનોએ આવકારી છે. રિલાયન્સ તેના સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે રિફાઇનરીની આસપાસના ગામોમાં વિવિધ પ્રવૃત્તિઓ ચલાવે છે. જેમાં મહિલા સશક્તિકરણ, શિક્ષણ, આરોગ્ય, સ્વરોજગાર, પશુ સારવાર, રમતગમત અને યુવા વિકાસનો સમાવેશ થાય છે. આ પ્રવૃત્તિઓ આ વિસ્તારના સર્વાંગી વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી રહી છે. સમાજના દરેક વર્ગના લોકોને ઉપયોગી થાય તેવી અનેકવિધ પ્રવૃત્તિઓના સતત આયોજન દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગ્રામીણ ઉત્કર્ષને વેગ આપી રહી છે, જેને વ્યાપક લોક આવકાર મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 7:08 pm

પુતિનના ભારત પ્રવાસથી ચીન થયું ખુશ! કહ્યું- 'ત્રણેય દેશ ગ્લોબલ સાઉથનો અવાજ'

China's Reaction To Putin's Visit To India : રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન (Russian President Vladimir Putin)ની ભારત યાત્રા પર ચીને પહેલીવાર સત્તાવાર પ્રતિક્રિયા આપી છે. ચીને આ મુલાકાતને સકારાત્મક ગણાવી કહ્યું છે કે ‘ભારત, ચીન અને રશિયા ત્રણેય દેશો ગ્લોબલ સાઉથનો મોટો અવાજ છે. ત્રણે દેશના મજબૂત સંબંધો માત્ર પોતાના હિતમાં જ નહીં, પરંતુ એશિયા અને સમગ્ર વિશ્વની શાંતિ અને સ્થિરતા માટે પણ જરૂરી છે.’ અમે ભારત-રશિયા સાથે મળીને સંબંધોને આગળ વધારવા તૈયાર : ચીન ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને કહ્યું કે, ‘ભારત, રશિયા અને ચીન ઉભરતી અર્થવ્યવસ્થાઓ છે અને ત્રણેય વચ્ચેનો વિશ્વાસ અને સ્થિરતા વૈશ્વિક સ્તરે સકારાત્મક અસર પેદા કરે છે.

ગુજરાત સમાચાર 8 Dec 2025 7:04 pm

પારડી પાલિકાની મુખ્ય માર્ગ પર દબાણ હટાવ ઝુંબેશ:ટ્રાફિક સમસ્યા હળવી કરવા કાર્યવાહી, દુકાનદારોને ત્રણ દિવસની મુદત અપાઈ, કેટલાકે સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કર્યા

વલસાડ જિલ્લાના પારડી નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગ પર ગેરકાયદેસર દબાણો હટાવવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કવાયતનો મુખ્ય હેતુ લાંબા સમયથી સર્જાતી ટ્રાફિક સમસ્યાને હળવી કરવાનો છે. પારડી ચાર રસ્તાથી લઈને નાના પોંઢા હાઈવે ઉપરના મુખ્ય રોડ પર દુકાનોના દબાણ અને બહાર બનાવેલા ઓટલાઓને કારણે ટ્રાફિક જામ થતો હતો. જેના કારણે એમ્બ્યુલન્સ જેવા આવશ્યક વાહનોને પણ પસાર થવામાં મુશ્કેલી પડતી હતી. નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની સૂચના અપાયા બાદ ઘણા દુકાનદારોએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો દૂર કર્યા હતા. આ ઝુંબેશમાં સ્વૈચ્છિક પાલન જોવા મળ્યું છે. જે દુકાનદારોના ઓટલા હજુ પણ માર્જિનમાં છે, તેમને સ્વયં દબાણ દૂર કરવા માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, દુકાનોના બોર્ડ હટાવવા માટે એક દિવસની મુદત અપાઈ છે. ગેરકાયદેસર ઊભા રહેતા લારી-ગલ્લાવાળાઓ માટે તળાવની પાળ પાસે વૈકલ્પિક જગ્યાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેઓ વ્યવસ્થિત રીતે પોતાનો ધંધો કરી શકે. નગરપાલિકાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો ત્રણ દિવસની સમયમર્યાદામાં દબાણ દૂર કરવામાં નહીં આવે, તો નગરપાલિકા દ્વારા દબાણ તોડવાની કાર્યવાહી કરવામાં આવશે. લારી-ગલ્લાવાળાઓ વૈકલ્પિક સ્થળે નહીં જાય તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરાશે. દુકાનદારોને માર્જિનનું પાલન કરીને જ બોર્ડ લગાવવા જણાવાયું છે. નિયમનું ઉલ્લંઘન કરનારાઓ સામે દંડ અને માલસામાન જપ્ત કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. અધિકારીઓના મતે, આજની આ ઝુંબેશ સફળ રહી છે અને મુખ્ય માર્ગ ઘણો ખરો ખુલ્લો જોવા મળી રહ્યો છે, જેનાથી ટ્રાફિકની સમસ્યામાં રાહત મળી છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 7:02 pm

લુણાવાડામાં 9 ડિસેમ્બરે વીજ પુરવઠો રહેશે બંધ:MGVCL દ્વારા સમારકામના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અસર

લુણાવાડા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં 9 ડિસેમ્બર, મંગળવારે વીજ પુરવઠો બંધ રહેશે. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) મહીસાગર લુણાવાડા દ્વારા મહત્વપૂર્ણ સમારકામ અને મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આ નિર્ણય લેવાયો છે. વીજ પુરવઠો સવારે 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી, એટલે કે લગભગ પાંચ કલાક માટે બંધ રહેશે. વીજ કંપનીના અધિકારીઓએ આ સમયગાળા દરમિયાન લોકોને જરૂરી સાવચેતી રાખવા અને સહકાર આપવા અપીલ કરી છે. MGVCL દ્વારા લુણાવાડા સબસ્ટેશનમાંથી નીકળતા ફીડર્સ પર રીપેરિંગ અને મેન્ટેનન્સનું કામ હાથ ધરવામાં આવશે. આ કામગીરીને કારણે મુખ્ય શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી નહીં મળે. જે વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે તેમાં દલુખડિયા, નાના-મોટા સોનેલા, સજ્જનપુર, લીંબોદરા અને મધવાસ વિસ્તારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કારવા, માળિયા, પાવાપુર, હરદાસપુર, કાકાના, ભેંસાવાડા, સાલાવાડા, ચોપડા, ભાયાસર અને વિરાણીયા બાજુના ગામોમાં પણ વીજળી બંધ રહેશે. કાંઠા, ઉકરડી, ચાવડિયા અને ચાવડી બાઈ ના મુંવાડા સહિતના વિસ્તારો પણ સવારે 7 થી બપોરે 12 વાગ્યા સુધી વીજળી વિનાના રહેશે. વીજ કંપનીએ જાહેર જનતાને આ વીજ વિક્ષેપને ધ્યાનમાં રાખીને પોતાના દૈનિક કાર્યોનું આયોજન કરવા જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 7:00 pm

જબલપુરથી વડોદરાની 920 કીમીની મશાલ યાત્રા પૂર્ણ:104 યાત્રીનું અટલાદરા સ્વામિનારાયણ મંદિરમાં સ્વાગત, પ્રમુખસ્વામી મહારાજની 104મી જન્મજયંતીના ભાગરૂપે મશાલ યાત્રા

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની 104મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે શરૂ જબલપુરથી નિકળેલી મશાલ યાત્રાના આજે વડોદરા ખાતે પહોંચી હતી. આ યાત્રામાં જોડાયેલા 104 યુવા યાત્રીઓનું આજે વડોદરાના અટલાદરા ખાતે આવેલા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ઢોલ-નગારાં અને પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જબલપુરથી વડોદરાની 920 કીમીની મશાલ યાત્રા પૂર્ણ આ મશાલ યાત્રા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન જબલપુરથી શરૂ થઈ હતી અને આજે અટલાદરા મંદિરે પધારેલા યાત્રીઓને કોઠારી સ્વામી તથા અન્ય સંતોએ પુષ્પહાર પહેરાવી આવકાર્યા હતા. આ પ્રસંગે ભક્તિપ્રકાશ સ્વામી અને અચલમુનિ સ્વામીએ યાત્રા દરમિયાન મળેલા અનેક મહાનુભાવોના સન્માન તેમજ ગામેગામ યુવાનોએ વ્યસણમુક્તિ અને સદાચારના સંદેશના પ્રસાર વિશે વિસ્તારથી વર્ણન કર્યું હતું. 104 યાત્રીઓને વિશેષ સન્માનિત કરાયાગત તા. 7 ડિસેમ્બરે પ્રમુખસ્વામી મહારાજની જન્મતિથિના દિને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મહંતસ્વામી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં આ 104 યાત્રીઓને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા. યુવાનો મશાલ યાત્રા કરીને અટલાદરાના મંદિરના આંગણે પધાર્યાસંતોએ જણાવ્યું હતું કે, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતી ઉપક્રમે યુવા જાગૃતિ માટે, વ્યસન મુક્તિ માટે, સંસ્થાએ જે કંઈ સામાજિક કાર્યો કર્યા છે એના ઉત્કર્ષ માટે 104 યુવાનો જબલપુરથી 920 કિલોમીટરની લાંબી મશાલ યાત્રા કરીને આજે વડોદરાના અટલાદરાના મંદિરના આંગણે પધાર્યા છે. ગામોગામ વ્યસન મુક્તિની પ્રેરણા આ યાત્રા દરમિયાન ઘણા બધા યાત્રીકો અને ઘણા બધા મહાનુભાવો અને ઘણા બધા મહેમાનોએ ગામોગામ વ્યસન મુક્તિની ખૂબ સારી પ્રેરણા લીધી હતી. એટલે આવું એક માનવ ઉત્કર્ષનું અદ્ભુત કાર્ય કરીને આ બધા પધાર્યા છે. તો એ બધાને અભિનંદન આપું છું.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:57 pm

કૂતરો હુમલો કરે ત્યારે શું કરવું?:રખડતાં શ્વાનથી બચવા માટે નગરપાલિકા વિસ્તારની સ્કૂલોમાં જાગૃત્તિ પ્રોગ્રામ, 5 પોઈન્ટમાં વિદ્યાર્થીઓને સમજ અપાઈ

ભાવનગર ઝોનના પ્રાદેશિક કમિશનર દ્વારા નગરપાલિકા વિસ્તારોમાં આવેલી તમામ શાળાઓમાં રખડતાં શ્વાનથી બાળકોને બચાવવા માટે તાત્કાલિક ધોરણે જાગૃતિ કાર્યક્રમો યોજવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી રિટ પિટિશન નં. 05/2025ના અનુસંધાને તથા ભારતીય જીવજંતુ કલ્યાણ બોર્ડ (AWBI) દ્વારા જાહેર કરાયેલી SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) મુજબ આપવામાં આવ્યો છે. નગરપાલિકાઓ દ્વારા શાળાના આચાર્યો અને શિક્ષકોના સહયોગથી બાળકોમાં જાગૃતિ લાવવાના કાર્યક્રમો યોજવામાં આવશે. આ આદેશના અમલના ભાગરૂપે, સુત્રાપાડા નગરપાલિકા દ્વારા તેના વિસ્તારમાં આવેલી વિવિધ શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમો દરમિયાન શાળાના શિક્ષકોના સહયોગથી બાળકોને રખડતાં શ્વાન સામે જરૂરી તકેદારી અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ખાસ કરીને નીચેના મુદ્દાઓ પર માહિતી આપવામાં આવી હતી. શ્વાનના હાવભાવ કેવી રીતે ઓળખવા, શ્વાન હુમલો કરે ત્યારે શું કરવું, પાલતુ શ્વાનની યોગ્ય કાળજી કેવી રીતે રાખવી, રખડતાં શ્વાનોને હેરાન ન કરવાના નિયમો અને આસપાસ સ્વચ્છતા કેવી રીતે જાળવવી. બાળકોને વ્યવહારુ ઉદાહરણો દ્વારા સમજાવવામાં આવ્યું હતું કે આપત્તિ સમયે ગભરાટ કર્યા વિના કેવી રીતે સુરક્ષિત રહેવું. આ જાગૃતિ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને શિક્ષકોએ જણાવ્યું હતું કે બાળકોને જીવન ઉપયોગી માર્ગદર્શન મળ્યું છે. નગરપાલિકાના અધિકારીઓએ ભવિષ્યમાં પણ આ પ્રકારના સલામતી જાગૃતિ કાર્યક્રમો સતત ચાલુ રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:56 pm

બીલીમોરામાં જંગલી જાનવર દેખાયું, સ્થાનિકોમાં ભય:ગાયકવાડ મિલ રોડ પર દીપડો હોવાની શંકા; વન વિભાગ જાગૃતિ લાવે તેવી માગ

નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં ગાયકવાડ મિલ રોડ વિસ્તારમાં એક જંગલી જાનવર દેખાયું છે. આ પ્રાણી દીપડો હોવાની સ્થાનિકોમાં શંકા છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે. દિવસના અજવાળામાં પ્રાણી દેખાતા વન વિભાગ દ્વારા જાગૃતિ લાવવાની માંગ ઉઠી છે. વીડિયો ફૂટેજમાં દેખાતું આ પ્રાણી કયું છે તે સ્પષ્ટ થઈ શક્યું નથી, પરંતુ સ્થાનિકો તેને દીપડો હોવાનું માની રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી નવસારીના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં દીપડાની હાજરી નોંધાઈ રહી છે, જે ચિંતાનો વિષય બન્યો છે. જંગલો અને માનવ વસાહતો વચ્ચેનું અંતર ઘટવાને કારણે માનવ વિસ્તારમાં દીપડાની લટાર વધી રહી છે. દીપડાઓ હવે શહેરી વિસ્તારો તરફ ધસી આવી રહ્યા છે, જેના પરિણામે સ્થાનિકો પર હુમલાના બનાવો પણ સામાન્ય બન્યા છે. રહેણાક વિસ્તારોમાં દીપડાના સતત દેખાવાને પગલે ગ્રામ્ય વિસ્તારના લોકોમાં જાગૃતિ આવી છે. તેઓ પોતાના ઘરની આસપાસ સીસીટીવી કેમેરા લગાવી રહ્યા છે. આનાથી દીપડાની હાજરી કેમેરામાં કેદ થાય છે અને વન વિભાગને તાત્કાલિક જાણ કરીને પાંજરા મૂકવાની માંગણી કરવામાં આવે છે. આ જાગૃતિ વન વિભાગને પણ દીપડા પકડવામાં મદદરૂપ થાય છે. નવસારી જિલ્લાની પૂર્વ પટ્ટીના ગામડાઓમાં દીપડાનું રહેણાંક વિસ્તારમાં સ્થળાંતર ચિંતાજનક છે. દીપડાની વસ્તી વધતા, દીપડા સાથે સુરક્ષિત રીતે કેવી રીતે રહેવું તે અંગે વન વિભાગ જાગૃતિ લાવે તે જરૂરી છે, તેવી માંગ ગ્રામ્ય વિસ્તારના લોકો કરી રહ્યા છે. દીપડાને ખેડૂતોનો મિત્ર પણ કહી શકાય છે, કારણ કે તે ખેતીને નુકસાન પહોંચાડતા ભૂંડ જેવા પ્રાણીઓનો શિકાર કરીને પાકનું રક્ષણ કરે છે. જોકે, તેની હાજરી અને હુમલાની શક્યતાને કારણે લોકોમાં ભય રહેલો છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:52 pm

GLS યુનિવર્સિટી અને SAE ઇન્સ્ટિટ્યૂટે ગ્લોબલ બી.ડિઝાઇન પ્રોગ્રામ લોંચ કર્યો:વૈશ્વિક સ્તરની બેન્ચમાર્ક વિશેષતાઓ માટે એનિમેશન VFX અને ગેમ ડેવલપમેન્ટ માટેનો પ્રોગ્રામ

અમદાવાદની GLS યુનિવર્સિટીએ ઓસ્ટ્રેલિયાની SAE ઇન્સ્ટિટ્યૂટના સહયોગ સાથે તેનો ગ્લોબલ બી. ડિઝાઇન (ઓનર્સ) પ્રોગ્રામ લોંચ કર્યો છે. આ લોન્ચીંગ, એ ભારતમાં ક્રિએટીવ મીડિયા એજ્યુકેશન માટે એક સીમાચિહ્નરૂપ અને ઐતિહાસિક ક્ષણ છે. આ ઈનોવેટીવ ચાર વર્ષનો અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ, એ દેશમાં આ પ્રકારનો પ્રથમ પ્રોગ્રામ છે, જે એનિમેશન, VFX અને ગેમ ડેવલપમેન્ટમાં વૈશ્વિક સ્તરની બેન્ચમાર્ક વિશેષતાઓ પ્રદાન કરે છે. ગ્લોબલ બી. ડિઝાઇન (ઓનર્સ) પ્રોગ્રામ લોંચ ગુજરાત લો સોસાયટી (GLS) દ્વારા 1927માં સ્થાપિત GLS યુનિવર્સિટી, એ ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં સામેલ છે. તે ભારતની એકમાત્ર સંસ્થા છે, જે SAE ઈન્સ્ટીટ્યુટના આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત અભ્યાસક્રમ અને પ્રમાણપત્ર પ્રદાન કરવા માટે અધિકૃત છે. આ સહયોગ, SAE ઈન્સ્ટીટ્યુટનો ભારતમાં ઔપચારિક પ્રવેશ દર્શાવે છે, જે દેશની ઝડપથી વિકસતી ક્રિએટીવ ઈન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન આપવા માટેની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. 20 દેશોમાં 47 કેમ્પસ સાથે એનિમેશનSAE ઇન્સ્ટિટ્યૂટ, નેવિટાસ ગ્રુપના કરિયર અને ઇન્ડસ્ટ્રી ડિવિઝનનો એક ભાગ છે. તે 50 વર્ષથી ક્રિએટીવ મીડિયા અને ટેકનોલોજી શિક્ષણમાં વૈશ્વિક સ્તરે અગ્રણી છે તેમજ ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા ખાનગી શિક્ષક પ્રદાતા અને શિક્ષણ ક્ષેત્રે ગ્લોબલ લીડર છે. આ ઈન્સ્ટીટ્યુટ, 20 દેશોમાં 47 કેમ્પસ સાથે એનિમેશન, ઓડિયો, કમ્પ્યુટર સાયન્સ, ડિઝાઇન, ફિલ્મ, ગેમ્સ, ઇન્ફર્મેશન ટેકનોલોજી, સંગીત અને VFX તેમજ વર્ચ્યુઅલ પ્રોડક્શનમાં વિશ્વ-સ્તરીય, પ્રોજેક્ટ-આધારિત શિક્ષણ પ્રદાન કરે છે. ગ્લોબલ બી. ડિઝાઇન (ઓનર્સ) પ્રોગ્રામના લોન્ચ માટે સમારોહ યોજાયોGLS યુનિવર્સિટીના પ્રમુખ સુધીર નાણાવટી અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. ચાંદની કાપડિયાની ગરીમામયી ઉપસ્થિતિમાં ગ્લોબલ બી. ડિઝાઇન (ઓનર્સ) પ્રોગ્રામના લોન્ચ માટેનો ઔપચારિક હસ્તાક્ષર સમારોહ સોમવારે યોજાયો હતો. આ પ્રસંગે, નેવિટાસના એજ્યુકેશન પાર્ટનરશીપ, કેરિયર એન્ડ ઇન્ડસ્ટ્રી ડિવિઝનના વડા જેના શિલર અને દક્ષિણ એશિયા માટે માર્કેટિંગ અને રિક્રુટમેંટના જનરલ મેનેજર, સ્ટીવ હિર્ડ તેમજ નેવિટાસના અન્ય સીનિયર ઓફિસર સહિત અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો હાજર રહ્યા હતા. પાંચ દાયકાની વિશ્વ-સ્તરીય, પ્રેક્ટિસ-આધારિત તાલીમગ્લોબલ બી. ડિઝાઇન (ઓનર્સ) પ્રોગ્રામનો ઉદ્દેશ્ય, GLS યુનિવર્સિટીની શૈક્ષણિક કુશળતાને SAE ઈન્સ્ટીટ્યૂટની પાંચ દાયકાની વિશ્વ-સ્તરીય, પ્રેક્ટિસ-આધારિત તાલીમ સાથે જોડીને ઇન્ડસ્ટ્રી-રેડી ગ્રેજ્યુએટ તૈયાર કરવાનો છે. આ અભ્યાસક્રમ, પ્રોજેક્ટ-આધારિત માળખા દ્વારા હૈન્ડ્ઝ-ઓન-લર્નિંગ પર ભાર મૂકે છે, જે વિદ્યાર્થીઓને સ્ટેટ-ઓફ-ધી-આર્ટ સ્ટુડિયો અને અગ્રણી ગ્લોબલ ક્રિએટીવ સ્ટુડિયો દ્વારા અપનાવવામાં આવેલા ટુલ્સનો ઉપયોગ કરીને પહેલા દિવસથી જ વ્યવહારુ કુશળતા વિકસાવવાની ખાતરી આપે છે. વિદ્યાર્થીઓને વેલ્યુએબલ ગ્લોબલ પર્સપેક્ટિવ મળશેઆ પ્રોગ્રામ, ઇન્ટરનેશનલ ઇમર્શન અને એક્સચેંજની તકો પણ પ્રદાન કરે છે, જેનાથી વિદ્યાર્થીઓને વેલ્યુએબલ ગ્લોબલ પર્સપેક્ટિવ મળે છે, જે આજના મોર્ડન ક્રિએટીવ અને ટેકનોલોજી-આધારિત ક્ષેત્રોમાં સફળતા માટે જરૂરી છે. ગ્રેજ્યુએટ્સને SAE ઇન્સ્ટિટ્યૂટ ક્વોલિફિકેશન મળશે, જે GLS યુનિવર્સિટી દ્વારા બી. ડિઝાઇન (ઓનર્સ) તરીકે માન્યતા પ્રાપ્ત છે. આ એક આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્ર છે, જે વૈશ્વિક રોજગારક્ષમતા અને કરિયર મોબિલિટી વધારે છે. ગ્લોબલ ક્રિએટીવ ઇકોનોમીમાં લીડર અને ઇનોવેટરઆ પ્રસંગે, GLS યુનિવર્સિટીના પ્રમુખ સુધીર નાણાવટીએ જણાવ્યું હતું કે, પ્રતિષ્ઠિત SAE ઇન્સ્ટીટ્યૂટ સાથેની આ ભાગીદારી, GLS યુનિવર્સિટી અને ભારતની શિક્ષણ પ્રણાલી માટે એક માઇલસ્ટોન છે. અમે અમારા વિદ્યાર્થીઓને વિશ્વ-સ્તરીય શિક્ષણ આપવા માટે પ્રતિબદ્ધ છીએ, જે તેમને ગ્લોબલ ક્રિએટીવ ઇકોનોમીમાં લીડર અને ઇનોવેટર બનવા માટે તૈયાર કરે છે. ઝડપથી વિકસતી ક્રિએટીવ ઈન્ડસ્ટ્રીઝમાં રહેલા અંતરને દૂર કરશેGLS યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. ચાંદની કાપડિયાએ જણાવ્યું હતું કે, ભારતમાં એક્સક્લુઝીવ ગ્લોબલ બી. ડિઝાઇન (ઓનર્સ) પ્રોગ્રામ શરૂ કરવા માટે SAE ઓસ્ટ્રેલિયા સાથે ભાગીદારી કરવાનો અમને ખુબજ ગર્વ છે. આ સહયોગ, વિદ્યાર્થીઓને એનિમેશન, VFX અને ગેમ ડેવલપમેન્ટમાં વિશ્વકક્ષાનું શિક્ષણ આપીને ભારતની ઝડપથી વિકસતી ક્રિએટીવ ઈન્ડસ્ટ્રીઝમાં રહેલા અંતરને દૂર કરે છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય, ભારતીય સર્જકોની આગામી પેઢીને માત્ર વૈશ્વિક બજારમાં સફળ થવા માટે જ નહીં, પરંતુ તેમને ક્રિએટીવ મીડિયાના ભવિષ્યને આકાર આપવા માટે નેતૃત્વ કરવા માટે સશક્ત બનાવવાનો પણ છે. ટેકનિકલ અને ક્રિએટીવ એજ્યુકેશનનું ઉચ્ચતમ ધોરણ નેવિટાસના એજ્યુકેશન પાર્ટનરશિપ, કરિયર અને ઇન્ડસ્ટ્રી ડિવિઝનના વડા જેના શિલરે જણાવ્યું હતું કે, અમે ભારતમાં અમારી હાજરી સ્થાપિત કરવા માટે GLS યુનિવર્સિટી સાથે ભાગીદારી કરીને પ્રસન્ન છીએ. આ સહયોગ સુનિશ્ચિત કરે છે કે, ભારતીય ક્રિએટર્સ(સર્જકો) આગામી પેઢીને ટેકનિકલ અને ક્રિએટીવ એજ્યુકેશનનું ઉચ્ચતમ ધોરણ મળે, જેનોથી તેઓ ક્રિએટીવ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજોના સફળ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના વૈશ્વિક સમુદાયમાં જોડાવા માટે તૈયાર થઇ શકે. GLS યુનિવર્સિટી જે SAE ઇન્સ્ટીટ્યૂટના એનિમેશન, VFX અને ગેમ ડેવલપમેન્ટમાં વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત અભ્યાસક્રમ અને શૈક્ષણિક વાતાવરણ પ્રદાન કરે છે. ટોચની કંપનીઓ સાથે ઇન્ટર્નશીપવિદ્યાર્થીઓને GLS યુનિવર્સિટીના 1,000 થી વધુ ઇન્ડસ્ટ્રી કનેક્શનના વ્યાપક નેટવર્કનો પણ લાભ મળશે. જે તેમને એનિમેશન, VFX અને ગેમિંગમાં ટોચની કંપનીઓ સાથે ઇન્ટર્નશીપ, રિયલ-વર્લ્ડ પ્રોજેક્ટ્સ અને રોજગારની તકોની ઉત્તમ ઍક્સેસ પ્રદાન કરશે. આ ઉપરાંત, તેઓ SAE સમુદાયનો ભાગ બનશે, ક્રિએટીવ મીડિયા વ્યાવસાયિકો અને ઉદ્યોગ નિષ્ણાતોના વિશ્વવ્યાપી નેટવર્ક સુધી પણ પહોંચ મેળવશે. ક્રિએટીવ મીડિયા અને ટેકનોલોજી સેક્ટરમાં ઉચ્ચ શિક્ષણSAE ઇન્સ્ટીટ્યૂટ સાથેના સહયોગ દ્વારા, GLS યુનિવર્સિટી ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રત્યેની તેની લાંબા સમયથી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. આની સાથે જ, તે ભારતના ક્રિએટીવ મીડિયા અને ટેકનોલોજી સેક્ટરમાં ઉચ્ચ શિક્ષણ માટે એક નવો બેંચમાર્ક સ્થાપિત કરે છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:49 pm

બનાસકાંઠામાં મતદાર યાદીનું 100% ડિજીટાઈઝેશન પૂર્ણ:9 વિધાનસભા વિસ્તારોના 26 લાખથી વધુ મતદારોની પ્રક્રિયા સંપન્ન

બનાસકાંઠા જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંતર્ગત 100 ટકા ડિજીટાઈઝેશનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વ હેઠળ બનાસકાંઠાના કુલ 9 વિધાનસભા વિસ્તારોમાં આ સિદ્ધિ હાંસલ થઈ છે. સમગ્ર ગુજરાતમાં 11 ડિસેમ્બર સુધી ગણતરીનો તબક્કો ચાલવાનો છે. જિલ્લાના 9 વિધાનસભા વિસ્તારોમાં કુલ 26,24,952 મતદારો નોંધાયેલા છે. તેમાંથી 91.56 ટકા એટલે કે 24,03,375 મતદારોનું EF (Electors' Photo Identity Card) ડિજીટાઈઝેશન કરવામાં આવ્યું છે. જ્યારે 8.44 ટકા એટલે કે 2,21,611 મતદારોનું ASD (Absent – Shifted – Death) તરીકે ડિજીટાઈઝેશન પૂર્ણ કરાયું છે. આમ, કુલ 100 ટકા ડિજીટાઈઝેશનની પ્રક્રિયા સંપન્ન થઈ છે. આ પ્રક્રિયા બાદ કુલ 2,21,611 મતદારો ASD શ્રેણીમાં નોંધાયા છે. આ યાદી તમામ ગ્રામ પંચાયતોને મોકલી આપવામાં આવી છે. ASD મતદારોમાં 64,669 મૃત્યુ પામેલા, 23,627 ગેરહાજર, 1,11,738 કાયમી સ્થળાંતરિત, 19,969 અગાઉથી નોંધાયેલા (રિપીટેડ) અને 1,608 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. કમી થતા મતદારો (ASD)ની યાદી દરેક મતદાન મથક ખાતેના BLO અને માન્ય રાજકીય પક્ષોના એજન્ટોને 6 ડિસેમ્બર, 2025ના રોજ યોજાયેલી પ્રિ-ડ્રાફ્ટ મીટિંગમાં આપવામાં આવી હતી. આ યાદી દરેક મતદાન મથક અને ગ્રામ પંચાયતના નોટિસ બોર્ડ પર પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ યાદી સંબંધિત સુધારા-વધારાની વિગતો આવકાર્ય છે. મતદારો વધુ વિગતો માટે https://banaskantha.nic.in/ વેબસાઈટની મુલાકાત લઈ શકે છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી મિહિર પટેલે SIR (Special Intensive Revision)ની 100 ટકા કામગીરી બદલ આ પ્રક્રિયામાં રોકાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય એ સુનિશ્ચિત કરવાનો છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:43 pm

નવસારી LCBએ રૂ. 6.15 લાખનો દારૂ ઝડપ્યો:દમણથી લવાયેલો 820 બોટલ-બિયરના જથ્થા સાથે ખેરગામથી એક શખસને ઝડપી લીધો

નવસારી જિલ્લામાં પ્રોહિબિશન પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) નવસારીએ એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. LCB સ્ટાફે બાતમીના આધારે દમણથી લાવવામાં આવેલો ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. LCB નવસારીના HC અયાઝ અને HC બ્રિજેશ સતીશચંન્દ્રને 07/12/2025ના રોજ ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, ખેરગામ તાલુકાના નાંધઇ ગામ, પટેલ ફળિયામાં રહેતો ગણેશ બાબુભાઇ પટેલ દમણથી વેગનાર કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવ્યો હતો. તે હાલમાં તેના જૂના રહેણાંક મકાનમાં આ જથ્થો સગેવગે કરી રહ્યો હતો. આ બાતમીના આધારે LCBની ટીમે તાત્કાલિક રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસે આરોપી ગણેશ પટેલ (ઉંમર 46, ધંધો ખેતી, રહે. નાંધઇ ગામ, પટેલ ફળિયા, તા. ખેરગામ, જિ. નવસારી)ને ઘટનાસ્થળેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની વેગનાર કાર અને તેના જૂના પડતર રહેણાંક મકાનમાંથી કુલ 820 નંગ ભારતીય બનાવટની વિદેશી દારૂ (વ્હીસ્કી)ની બોટલો અને ટીન બિયર જપ્ત કર્યા હતા. આ પ્રોહિબિશન મુદ્દામાલની કિંમત ₹3,05,080/- અંદાજવામાં આવી છે. વેગનાર કાર સહિત અન્ય વસ્તુઓ મળી કુલ ₹6,15,580/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપી ગણેશ પટેલ અને આ ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ ખેરગામ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરીને ગુનો નોંધવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:35 pm

હિંમતનગર પોલીસે બે નાસતા ફરતા આરોપીઓને ઝડપ્યા:મહાવીરનગર સર્કલ અને ગાયત્રી મંદિર રોડ પરથી પકડાયા

હિંમતનગર એ ડિવિઝન પોલીસે આજે બે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી મહાવીરનગર સર્કલ અને ગાયત્રી મંદિર રોડ પર એમ બે અલગ અલગ જગ્યાએથી કરવામાં આવી હતી. પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એમ. ચૌધરીએ 'ઓપરેશન કારાવાસ' અંતર્ગત એક ટીમ બનાવી હતી. સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ એન.બી. વાઘેલા અને તેમની ટીમને આવા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સતત વોચ રાખવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે સર્વેલન્સ સ્ક્વોડના મિતરાજસિંહ અને વિપુલસિંહને બાતમી મળી હતી. બાતમીના આધારે, બીજા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ, હિંમતનગરના ક્રિમિનલ કેસ નંબર 1408/2024 (નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138) હેઠળના આરોપી ફારૂકશા કાલુશા ફકીર (રહે. મધુનગર, હિંમતનગર) ને મહાવીરનગર સર્કલ પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત, પ્રિન્સિપાલ જજ ફેમિલી કોર્ટ, હિંમતનગરના ફોજદારી પ્રોસીડિંગ નંબર 120/2025ના ભરણપોષણના સજા વોરંટના આરોપી વિમલકુમાર ચંદુભાઈ સુથાર (રહે. સૂર્યોદય પાર્ક, મહાવીરનગર, હિંમતનગર) ને ગાયત્રી મંદિર રોડ પર માધવ ડેરી પાસેથી પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:29 pm

યુથ કોંગ્રેસ દ્વારા દારૂ - ડ્રગ્સના દૂષણને બંધ કરવાની માગ:ભાજપ હાય હાયના નારા લગાવ્યા, પૂતળા દહન કરે તે પહેલા પોલીસે અટકાયત કરી

અમદાવાદના મેમ્કો ચાર રસ્તા પાસે વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલની બહાર યુથ કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવ્યો હતો. ગાંધી અને સરદારના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ અને દક્ષનો વેપલો ચાલતો હોવાથી યુથ કોંગ્રેસ દ્વારા રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દેખાવો કરતાં સમય યુદ્ધ કોંગ્રેસ દ્વારા ગૃહ મંત્રી હર્ષ સંઘવી હાય હાય અને ભાજપ હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતાં. જે બાદ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પૂતળું સળગાવવા જતા પોલીસે તમામને ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. કોંગ્રેસ દ્વારા રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુંછેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસ દ્વારા ગાંધી અને સરદારના ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના થતા વેચાણને લઈને સરકારને ઘેરવામાં આવી રહી છે. કોંગ્રેસના ધારાસભ્યો સહિત કાર્યકર્તાઓ પણ અલગ અલગ કાર્યક્રમ કરીને દારૂ અને ડ્રગ્સનું દુષણ બંધ કરવા માટેની સરકાર સમક્ષ માગ કરી રહ્યા છે. ત્યારે યુથ કોંગ્રેસ દ્વારા પણ દેખાવો કરવામાં આવ્યો હતો. અમદાવાદ શહેર યુથ કોંગ્રેસ દ્વારા ડ્રગ્સ નહીં રોજગારી ચાહિયે, નશામુક્ત અમદાવાદ ચાહીયે ના તારા સાથે હાલો મોટી સંખ્યામાં યુદ્ધ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભેગા થઈ દેખાવો કર્યો હતો. યુથ કોંગ્રેસે ભાજપ હાય હાય ના નારા લગાવ્યામેમકો ચાર રસ્તા પાસે આવેલા વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સથી ભાજપ હાય હાય ના નારા લગાવી યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ ચાર રસ્તા પર બેસી ગયા હતા. ચાર રસ્તા પર બેસી જઈ હર્ષ સંઘવી રાજીનામું આપે અને ભાજપ બુટલેગરો સાથે હોવાનો દાવો કરે ભાજપ હાય હાય ના નારા લગાવ્યા હતા. જે દરમિયાન યુથ કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ પૂતળું સળગાવવા જતા પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હતી. જે બાદ પોલીસે પૂતળું દહન કરતાં અટકાવી તમામની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. 'ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર રહી ગઈ છે'અમદાવાદ શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ ઇમરાન સંઘીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર રહી ગઈ છે. ખુલ્લેઆમ ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનો વેપાર થઈ રહ્યો છે. ગાંધી અમે સરદારના ગુજરાતને અમે ઉડતુ ગુજરાત નહીં બનવા દઈએ. તમામ વિધાનસભા વિસ્તારમાં બુટલેગરોને કોનો સપોર્ટ મળી રહ્યો છે તેની બહાર પાડીશું. દારૂ અને ડ્રગ્સના દૂષણને બંધ કરવા માટે શરૂ કરાયેલા આંદોલનને અમે આગળ વધારીશું. ગુજરાતમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી કહે છે કે ગુજરાતમાં ડ્રગ્સ નથી મળતો. જો જરૂર પડશે તો અમે જનતા રેડ માટેની પણ તૈયારી કરી રહ્યા છીએ.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:29 pm

મીરઝાપુરમાં અડધી કિંમતે સિગારેટ ન આપતા દુકાનદાર પર હુમલો:ત્રણ ભાઈઓએ દુકાનમાં તોડફોડ કરી લૂંટ મચાવી, જાનથી મારી નાખવાની ધમકી આપી

અમદાવાદના સરખેજમાં સિગારેટ ન આપવા મામલે યુવકે અન્ય યુવકની હત્યા કરી હતી ત્યારે મિરઝાપુરમાં અડધી કિંમતે સિગારેટ ન આપતા ત્રણ ભાઈઓએ દુકાનમાં ઘૂસી જઈ તોડફોડ કરી વેપારીને માર માર્યો હતો. આરોપીઓએ લોખંડના સોયા વડે પણ હુમલો કર્યો હતો. આરોપીઓએ કેશ કાઉન્ટરમાંથી રોકડ રકમની લૂંટ પણ ચલાવી હતી. આ સમગ્ર ઘટના અંગે શાહપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉશ્કેરાઈને આરીફે વેપારીને બિભત્સ ગાળો આપવાનું શરૂ કર્યું મીરઝાપુરમા‍ં રહેતા મોહમદ યુનુસ મન્સુરી. લોધવાડ ખાતે આવેલ ન્યુ માર્કેટ જનરલ સ્ટોર્સ નામની કરીયાણાની દુકાન ધરાવી વેપાર કરે છે. ગઈકાલે રાતના સમયે આરીફ નફસ અહેમદ કુરેશી નામનો વ્યક્તિ ત્યાં આવ્યો હતો. આરીફે અડધા પૈસા આપીને બે સિગારેટ માંગી હતી. જોકે, દુકાન માલિક યુનુસ મન્સુરીએ ઇનકાર કર્યો અને પૂરા પૈસા આપવા જણાવ્યું હતું. જેથી, ઉશ્કેરાઈને આરીફે વેપારીને બિભત્સ ગાળો આપવાનું શરૂ કર્યું હતું. વેપારીને ગડદાપાટુનો માર માર્યોગાળાગાળી ચાલતી હતી તે દરમિયાન આરીફનો મોટો ભાઈ ખાલીદ નફિસ અહેમદ કુરેશી ત્યાં આવી ગયો હતો. આ બંને ભાઈઓ દુકાનમાં ઘૂસી ગયા અને કરીયાણાની વસ્તુઓ ભરેલી કાચની બરણીઓ તથા ઈંડા તોડી નાખી ભારે નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારબાદ તેમણે વેપારી મોહમદ યુનુસને શરીરે ગડદાપાટુનો માર માર્યો હતો. તે જ સમયે, તેમનો ત્રીજો ભાઈ વાજીદ નફિસ અહેમદ કુરેશી પણ ત્યાં આવી ગયો હતો અને તેણે પણ ગાળાગાળી ચાલુ રાખી હતી. દુકાન સળગાવવાની અને મારી નાખવાની ધમકી આપી ફરારઆ દરમિયાન આરીફે બરફ તોડવાનો લોખંડનો સોયો કાઢ્યો હતો અને મોહમદ યુનુસના ડાબા હાથના ખભા ઉપર ઉભો ઘા માર્યો હતો. વેપારીએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો ભેગા થવા લાગ્યા હતા. આ તકનો લાભ લઈને આરોપી આરીફે તરત જ દુકાનના કેશ કાઉન્ટરમાંથી ડ્રોઅર ખોલી તેમાં રાખેલા 700 રૂપિયાની લૂંટ કરી હતી. લૂંટ કર્યા બાદ ત્રણેય ભાઈઓએ યુનુસ મન્સુરી અને તેમના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદ કરે તો દુકાન સળગાવી જાનથી મારી દેવાની ધમકી આપીને તેઓ ફરાર થઈ ગયા હતા.આ અંગે શાહપુર પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:29 pm

બોટાદની સાયોના સ્કૂલના વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી:પોલીસ કાર્યપ્રણાલી અને કાનૂની જાગૃતિ માટે માર્ગદર્શન મેળવ્યું

બોટાદની સાયોના સ્કૂલના ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓએ ટાઉન પોલીસ સ્ટેશન અને મહિલા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને પોલીસ તંત્રની કાર્યપ્રણાલી અને કાનૂની જાગૃતિ વિશે માહિતી આપવાનો હતો. મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનની દૈનિક કામગીરી, ફરિયાદ નોંધવાની પ્રક્રિયા, વિવિધ શાખાઓનું કાર્ય અને ઈમરજન્સી સેવાઓ વિશે વિસ્તૃત માહિતી અપાઈ હતી. મહિલા પોલીસ સ્ટેશનની કામગીરી અંગે અજિતસિંહ બારડે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે PBSC 181 ટીમ મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે કેવી રીતે કાર્ય કરે છે તે સમજાવ્યું. PBSC કાઉન્સેલર રીનાબેન વ્યાસે વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાના વધતા ઉપયોગ અને તેના જોખમો વિશે જાગૃત કર્યા હતા. તેમણે સેન્ટર પર આવતા કેસોના પ્રકારો, પીડિતોને અપાતી મદદ અને કાઉન્સેલિંગ પ્રક્રિયા અંગે પણ માહિતી આપી. આ ઉપરાંત, સાઇબર પોલીસ સ્ટેશન અને સાયબર ક્રાઇમની વિવિધ છેતરપિંડીઓ, તેની અટકાયત અને સુરક્ષા બાબતે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ચલાવવામાં આવતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે પણ વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવી હતી. મુલાકાતના અંતે, થાણા અધિકારી એન. જી. પરમાર અને સમગ્ર પોલીસ સ્ટાફે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી. તેમણે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં જાગૃત અને જવાબદાર નાગરિક બનવા પ્રેરણા આપી હતી.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:25 pm

ગઢડામાં 81 લાખના વિદેશી દારૂનો નાશ કરાયો:16,069 બોટલનો નાશ, પ્રાંત અધિકારી, DYSP, મામલતદાર સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર

ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ વિવિધ પાંચ ગુનાઓમાં જપ્ત કરાયેલા રૂ. 81 લાખની કિંમતના કુલ 16,069 બોટલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી ગઢડાના ઢસા રોડ પર આવેલા હેલીપેડ નજીકના ગ્રાઉન્ડમાં હાથ ધરવામાં આવી હતી. દારૂ નાશ પ્રક્રિયા દરમિયાન બોટાદ પ્રાંત અધિકારી આરતી ગૌસ્વામી, DYSP મહર્ષિ રાવલ, ગઢડા મામલતદાર સિધ્ધરાજસિંહ વાળા, PSI જી. જે. ગોહિલ સહિત પોલીસ વિભાગના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ દ્વારા કાયદા અને વ્યવસ્થા જાળવવા તેમજ ગેરકાયદેસર દારૂના વ્યવહાર પર કડક કાર્યવાહી કરવા આ એક મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવે છે. બોટાદના ડિવાયએસપી મહર્ષિ રાવલે આ અંગે માહિતી આપી હતી.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:23 pm

યુવકોને સાયબર સ્લેવરીમાં મ્યાનમાર ધકેલનાર ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો:અમદાવાદનો યુવક ચાઈનીઝ ગેંગ સાથે કામ કરતો, લોકોને લલચાવી માનવ તસ્કરી કરતાં

સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના SP ડો. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, ભારત સરકારના સંકલિત પ્રયત્નોથી કંબોડીયા, મ્યાનમાર અને થાઈલેન્ડમાં સાયબર સ્લેવરીના શિકાર બનેલા ભારતીય નાગરિકોને સતત રેસ્ક્યુ કરીને પરત લાવવાની કામગીરી ચાલી રહી છે. અમદાવાદનો યુવક ચાઈનીઝ ગેંગ સાથે કામ કરતોહાલમાં જ દેશમાં પરત આવેલી ફ્લાઇટમાં રહેલા ચાર પીડિતોના નિવેદન બાદ ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ ચારેયને અમદાવાદના રુરલ વિસ્તારમાંથી રોહિત રાજનાથ ગિરિ દ્વારા મ્યાનમાર મોકલવામાં આવ્યાં હતા. તેમની ફરિયાદના આધારે રોહિત ગિરિને સાયબર ક્રાઈમ વિભાગે ઝડપ્યો. પોલીસે વધુ તપાસ કરતાં ખુલ્યું કે રોહિતનો ભાઈ- મોહિત રાજનાથ ગિરિ પોતે મ્યાનમારમાં ચાઈનીઝ સાયબર ક્રાઈમ ગેંગ સાથે જોડાયેલો હતો અને અહીંથી યુવકોને લલચાવી મોકલતો હતો. ચાઈનીઝ ગેંગની કંપનીમાં કામ કરવા માટે બળજબરી કરાતી પછી તેમને ચાઈનીઝ ગેંગની કંપનીમાં કામ કરવા માટે બળજબરી કરાતી હતી અને સાયબર ઠગાઈઓ કરાવવામાં આવતી હતી. માનવ તસ્કરી અને સાયબર ગુનાહિત નેટવર્ક વચ્ચેનો આ ગાઢ કનેક્શન પહેલીવાર આટલા સ્પષ્ટ પુરાવા સાથે સામે આવ્યું છે. યુવકને મ્યાનમારમાંથી રેસ્ક્યુ કરીને ભારતમાં લવાયોમોહિત ગિરિને મ્યાનમારમાંથી રેસ્ક્યુ કરીને ભારતમાં લાવવામાં આવ્યો છે અને હાલમાં તેની પુછપરછ ચાલી રહી છે. કેટલા લોકોને સાયબર સ્લેવરીમાં ધકેલ્યા છે તેની વિગત એકત્રિત કરવાની તપાસ ચાલુ છે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા વધુ ધરપકડો અને આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાયેલા નેટવર્કને ખતમ કરવાની કાર્યવાહી તેજ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:19 pm

ડિસેમ્બરમાં પડશે ભૂક્કા બોલાવતી ઠંડી:બુટલેગરને ઢોર માર મારી વોન્ટેડે કહ્યું, ' બદલા પૂરા હુઆ', કેજરીવાલે ભાજપને આપી ચેલેન્જ, પોલીસ પરિવાર બાદ હવે મોદી સમાજ મેવાણી સામે પડ્યો

જીજ્ઞેશ મેવાણી સામે મોદી સમાજનો વિરોધ મોદી સમાજે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીનો વિરોધ કર્યો. પીએમના વતન વડનગરમાં જ મેવાણીએ તેમના વિશે ટિપ્પણી કરતા વિવાદ થયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હોમગાર્ડની નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો રાજ્યના હોમગાર્ડની નિવૃત્તિ વયમર્યાદા ત્રણ વર્ષ વધારવામાં આવી.. હવે 55ને બદલે હોમગાર્ડ્સ 58 વર્ષે નિવૃત્ત થશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજકોટથી કેજરીવાલનો પોતાની સરકાર રચવાનો દાવો રાજકોટમાં ખેડૂતો સાથે મુલાકાત કર્યા બાદ અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરી ગુજરાતમાં પોતાની સરકાર રચવાનો દાવો કર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સતત છઠ્ઠા દિવસે રાજ્યમાં 28 ફ્લાઈટ્સ કેન્સલ પાઈલટ્સ અને ક્રુની અછત વચ્ચે આજે સતત છઠ્ઠઆ દિવસે ઈન્ડિગો ફ્લાઈટ્સની ઉડાન રદ રહી.. રાજ્યમાં 28 ફ્લાઈટ્સ કેન્સલ થઈ. તો અમદાવાદ એરપોર્ટ પરથી લોકોને મોટા શહેરો સુધી ટ્રેન બુકિંગની સુવિધા મળી રહી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 15 ડિસેમ્બર સુધી સુભાષબ્રિજ બંધ રહેશે અમદાવાદનો સુભાષબ્રિજ 15 ડિસેમ્બર સુધી બંધ રહેશે.. બ્રિજ પર તિરાડ પડવા અને સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના બાદ 4 એજન્સી દ્વારા બ્રિજનુ ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે. જે બાદ રાજ્ય સરકાર બ્રિજને લઈને નિર્ણય લેશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન હાથ ધરાયું કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન હાથ ધરાયું.20 JCB અને 100 ટ્રેક્ટરથી 500 પોલીસકર્મીઓની હાજરીમાં દબાણો દૂર કરાયા જેનાથી 250 કરોડની 100 એકર જમીન ખુલ્લી થશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દુષ્કર્મના આરોપી પર PIનું ફાયરિંગ અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કરતા PIએ ફાયરિંગ કર્યું.ઝપાઝપીમાં આરોપી સાથે એક હેડ કોન્સ્ટેબલ પણ ઈજાગ્રસ્ત થયા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વોન્ટેડ આરોપીએ બુટલેગર પર કર્યો જીવલેણ હુમલો સુરતના વરાછામાં વોન્ટેડ આરોપીએ બુટલેગર પર જીવલેણ હુમલો કર્યો, અને દુકાનોમાં તોડફોડ કરી.. આટલેથી ન અટકેલા આરોપીએ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ ચડાવ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 710 કરોડનું સાયબર ફ્રોડ,ગેંગની ભાવનગરથી ધરપકડ ગુજરાત સ્ટેટ સાયબર સેલે 710 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરી ભાવનગરથી 10 લોકોની ગેંગની ધરપકડ કરી છે.. આરોપીઓમાં બે ઇન્ડસઇન્ડ બેંકના કર્મચારી છે. ગેંગ ભાવનગરની ઇન્ડસઇન્ડ બેંકમાં 100થી વધુ ફેક અકાઉન્ટ ખોલી નાણાની હેરાફેરી કરતી હતી અને 1544 સાયબર ગુનામાં સંડોવાયેલી હતી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યમાં ડિસેમ્બરમાં ઠંડી ભૂક્કા બોલાવશે 10 ડિગ્રી સાથે દાહોદ ઠંડુગાર. તો નલિયા 11 ડિગ્રી સાથે બીજા નંબરે રહ્યું.. ડિસેમ્બરમાં રાજ્યમાં ઠંડી ભૂક્કા બોલાવે તેવી શક્યતા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:05 pm

આરોપી યુવાનની માનસિક વિકૃતિ છતી કરતો કિસ્સો:ખેતરે કામ કરતી સગીરા સાથે અભદ્ર વર્તન: પિતાની ફરિયાદથી પોલીસે ગણતરીની મિનિટોમાં આરોપીને પકડ્યો.

ગુજરાતમાં જ્યાં એક તરફ સરકાર 'બેટી બચાવો, બેટી પઢાઓ' જેવા અભિયાનો દ્વારા દીકરીઓના સન્માન અને સુરક્ષાની જાગૃતિ લાવવા કાર્ય કરી રહી છે, ત્યાં બીજી તરફ ગ્રામ્ય કક્ષાએ હલકી માનસિકતા ધરાવતા કેટલાક લોકો પોલીસ કે કાયદાના ડર વગર આવા ગંભીર ગુનાઓને અંજામ આપી રહ્યા છે. આવો જ એક શરમજનક કિસ્સો જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં સામે આવ્યો છે, જ્યાં ખેતરે ભાગ્યાનું કામ કરતી એક સગીરાની છેડતી કરવામાં આવી હતી. પીપળી ગામનો શરમજનક કિસ્સો પીપળી ગામમાં એક સગીર દીકરી તેના પિતા સાથે ખેતરે ભાગ્યા તરીકે કામ કરી રહી હતી. તે જ સમયે, બાજુના ખેતરનો રહેવાસી સરમણ બાવન કોડીયાતર નામનો શખ્સ ત્યાં આવ્યો હતો.આરોપી સરમણ કોડીયાતરે એકલતાનો લાભ લઈને સગીરા પાસે આવીને તેની સાથે અભદ્ર ચેનચાળા કર્યા હતા અને સગીરાની છેડતી કરી હતી. આ ઘટનાથી ગભરાયેલી સગીરાએ તાત્કાલિક આ સમગ્ર મામલે પોતાના પિતાને જાણ કરી હતી. પુત્રીની ફરિયાદ સાંભળીને પિતાએ કોઈપણ જાતનો વિલંબ કર્યા વિના કાયદાકીય માર્ગ અપનાવવાનું નક્કી કર્યું. ફરિયાદી પિતાએ તાત્કાલિક પોલીસને બોલાવીને કેશોદ પોલીસ સ્ટેશનમાં પીપળી ગામના રહેવાસી આરોપી સરમણ કોડીયાતર વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. આ મામલે કેશોદ એસ.પી. બી.સી. ઠક્કર જણાવ્યું હતું કે ગઈકાલે કેશોદ પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ અને છેડતીનો ગુનો નોંધાયો હતો. જેમાં સગીર દીકરી સાથે બાજુના ખેતરના માલિક દ્વારા અભદ્ર ચેનચાળા કરવાની ફરિયાદ મળી હતી.ગુનાની ગંભીરતા અને બાળકીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેશોદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ ટીમે આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. એસ.પી. ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે અમને ફરિયાદ મળતાની સાથે જ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે ગણતરીની મિનિટોમાં જ આરોપી સરમણ કોડીયાતરને ઝડપી પાડ્યો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે, જેથી આરોપીને કડક સજા મળે અને સમાજમાં દાખલો બેસે. ગ્રામ્ય વિસ્તારમાં આવા કિસ્સાઓ ન બને તે માટે કાયદાનો ડર પેદા કરવો આવશ્યક છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 5:41 pm

રાજકુમાર જાટ મોત કેસમાં 11 ડિસે.એ ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ:ગાંધીનગર FSL ખાતે લઈ જવામાં આવ્યો, આવતીકાલથી શરૂ થશે મેડિકલ પ્રોસેસ

ગત 9 માર્ચે, 2025ના રોજ ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ(માતા ધારાસભ્ય) પર રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાનો તેના પિતા રતનલાલ જાટે આક્ષેપો કર્યા હતા. માર માર્યા બાદ રાજકુમાર જાટનો રાજકોટ અમદાવાદ હાઇવે પર તરઘડિયા નજીક ઓવરબ્રિજ પર મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં 5 ડિસેમ્બરે રાજકોટની કોર્ટે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી હતી. જેને પગલે હવે ગણેશ ગોંડલનો 11 ડિસેમ્બરે ગાંધીનગરમાં નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. આ નાર્કો ટેસ્ટ માટે ગણેશ ગોંડલને ગાંધીનગર ખાતે આવેલી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી(FSL) ખાતે લાવવામાં આવ્યો છે. હવે 9 ડિસેમ્બરથી તેની મેડિકલ પ્રોસેસ શરૂ થશે. શું છે નાર્કો ટેસ્ટ?નાર્કો ટેસ્ટમાં જેનો ટેસ્ટ કરવાનો હોય છે એ વ્યક્તિને સોડિયમ પેન્ટોથલ નામની દવાનું ઈન્જેક્શન અપાય છે. જેની અસરથી તેની વિચારશક્તિ સિમિત થઈ જાય છે. આ ટેસ્ટ સમયે લગભગ બેભાન હાલત હોય છે. દવાની અસરના કારણે જુઠ્ઠુ બોલવાની સંભાવના પણ ઘટી જાય છે. એક એક્સપર્ટ કેસ અંગે સવાલો કરે છે. આ સમયે પણ તે વ્યક્તિના હાવભાવને ખાસ ધ્યાને લેવાય છે. કોર્ટમાં નાર્કો ટેસ્ટ પુરાવા તરીકે કેમ માન્ય નથી?નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન મુજબ, દવાનો ઉપયોગ કર્યા પછી, એવી કોઈ ગેરેંટી નથી કે આરોપી માત્ર સત્ય જ કહેશે. એનેસ્થેસિયાની સ્થિતિમાં, વ્યક્તિ પોતાની સ્વતંત્ર ઇચ્છાનું નિવેદન આપતું નથી અને આ સમયે તે પોતાના હોશમાં પણ નથી હોતો. તેથી જ કોર્ટમાં નાર્કો ટેસ્ટના રિપોર્ટને કાયદાકીય રીતે પુરાવા તરીકે સ્વીકારવામાં આવતા નથી. જો કે, સુપ્રીમ કોર્ટે તેના એક ચુકાદામાં કહ્યું છે કે નાર્કો ટેસ્ટ રિપોર્ટની મદદથી પછીથી જે પણ માહિતી મળી આવશે તેને પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. 14 માર્ચે ટ્રાવેલ્સની અડફેટે આવવાથી મોત થયું હોવાનો પોલીસે ખુલાસો કર્યો હતો9 માર્ચે રાજકુમાર જાટના મૃતદેહની ઓળખ થયા બાદ 14 માર્ચે તેનું મોત ટ્રાવેલ્સની અડફેટે આવવાથી થયું હોવાનો રાજકોટ પોલીસે ખુલાસો કર્યો હતો. તે સમયે એટલે કે 14 માર્ચ, 2025ના રોજ રાજકોટ DCP ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, યુવાનનું આઈડેન્ટિફિકેશન તારીખ 9ના થયું હતું. આઇડેન્ટિફિકેશન થયા બાદ ફરિયાદીની ફરિયાદ લઈને ફેટલ એક્સિડન્ટનો ગુનો સૌપ્રથમ દાખલ કરવામાં આવ્યો હતો. ફેટલ એક્સિડન્ટનો ગુનો અનડિટેક્ટ હોવાથી અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી. આ બનાવ ખૂબ જ ચર્ચાસ્પદ થયેલો હોવાથી પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા અને અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા દ્વારા અલગ અલગ ટીમો બનાવવાની સૂચના આપી હતી. જેના આધારે SOG, કુવાડવા રોડ પોલીસ મથક, LCB, ઝોન-1 એમ અલગ અલગ ટીમો બનાવીને વિવિધ સ્થળોએ સતત ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ સિનિયર અધિકારીઓ કે જેમાં પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર, ઝોન-1 અને અમારા દ્વારા સ્થળની વિઝીટ કરવામાં આવી હતી. જે વિઝીટ કરીને કયા સમયગાળા દરમિયાન આ બનાવ બની શક્યો હોય તે જોવામાં આવ્યું હતું. આ પણ વાંચો... મૃતકની બોડી પર ઈજાનો દાવો, વીડિયો ભાસ્કર પાસે મહાસાગર ટ્રાવેલ્સની 3131 નંબરની બસ શંકાસ્પદ જણાઈઆપણી પાસે એક સમયગાળો હતો કે, આશરે 2.15થી 2.30 વાગ્યા દરમિયાન બનાવ બન્યો હોઈ શકે છે. આ બનાવ બન્યાની સંભાવનાને ધ્યાનમાં રાખીને એ સમયગાળા દરમિયાન કયા કયા વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા છે તેની તપાસ હાથ ધરવામાં આવી અને 150થી વધુ CCTV કેમેરા ચારથી પાંચ કિલોમીટરના વિસ્તારમાં ચકાસવામાં આવ્યા. આ બધા સીસીટીવી કેમેરાની ચકાસણી ચાલુ હતી ત્યારે એક ડમ્પરચાલક દ્વારા માહિતી મળી કે, તે જ્યારે 2.33 વાગ્યા આસપાસ પસાર થાય છે તેની પહેલા ત્યાં મૃતદેહ પડેલો હતો. તે ધ્યાનમાં રાખીને અને કઈ બસ તેની આગળ ચાલતી હતી. તેની માહિતી મેળવી આગળની તપાસ હાથ ધરી હતી. ત્યારે મહાસાગર ટ્રાવેલ્સની 3131 નંબરની બસ શંકાસ્પદ જણાઈ હતી. ડ્રાઇવરે અકસ્માત સર્જ્યો હોવાની કબૂલાત આપીશંકાસ્પદ બસના આધારે તેની ટ્રીપની માહિતી મેળવી ડ્રાઇવર કોણ હતું તેની માહિતી મેળવી અને આગળ જૂનાગઢ પોલીસની મદદ લઈને તે ડ્રાઇવરની પૂછપરછ હાથ ધરવામાં આવી અને પૂછપરછના અંતે તે ડ્રાઈવર દ્વારા રાત્રિનો સમય હોવાથી બ્રિજથી તે નીચે ઉતરતા હતા. તે જ સમયે આ વ્યક્તિ રસ્તાની વચ્ચે ચાલ્યો જતો હતો અને આંખ પર પ્રકાશ પડતા ભૂલથી તેનાથી એક્સિડન્ટ થઈ ગયું તેવી કબૂલાત આપવામાં આવી હતી. આ કબૂલાતના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી. સાથે અન્ય સાહેદોના નિવેદનો લેવા માટેની તજવીજ કુવાડવા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. બસની ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી છે. આ બાબતે બીજું કોઈ એંગલ છે કે કેમ તેની તપાસ પણ રાજકોટ શહેર પોલીસ દ્વારા આગામી દિવસોમાં કરવામાં આવશે. ડ્રાઇવરે માલિકને રોઝડું આવી ગયું હોવાનું કહી ખોટું કીધુંતેમણે વધુમાં જણાવ્યું હતું કે, બસથી અકસ્માત થયો હોઈ શકે છે તે સંભાવનાના આધારે શંકાસ્પદ બસોના ડ્રાઈવરો અને માલિકોની પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછ દરમિયાન આરોપી બસના ડ્રાઈવર દ્વારા કબૂલાત આપવામાં આવી તેના આધારે ડિટેક્શન થયું. આ અકસ્માત સર્જાયો ત્યારબાદ ડ્રાઇવર દ્વારા પોતાના માલિકને કોઈ જાણ કરવામાં આવી ન હતી. જોકે તેના ક્લીનરને જાણ કરી કે કદાચ આ રીતનો કોઈ બનાવ બની ગયો છે અને આગળ આ બાબતે આપણે શું કરવું. જે બાદ અમદાવાદ ખાતે પહોંચીને ડ્રાઇવર દ્વારા પોતાના માલિકને જાણ કરવામાં આવે છે કે, રોઝડું આવી ગયું હતું જો કે તે બાદ એવી કબૂલાત આપવામાં આવે છે કે, ડરના કારણે હું ખોટું બોલ્યો હતો ખરેખર એક વ્યક્તિને ટક્કર લાગી હતી. આ સમયગાળા દરમિયાન ફોર વ્હીલર અને ડમ્પર સહિતના મોટા વાહનો ગણીએ તો 12થી વધુ પસાર થયા હતા અને ટોટલ 46 વાહનો 15થી 20 મિનિટના સમયગાળા દરમિયાન પસાર થયા હતા. મૃતકને ઈજા હાર્ડ એન્ડ બ્લન્ટ ઓબ્જેક્ટથી થઈરાત્રિનો સમય હતો તેને કારણે લોકોને વધુ આઈડીયા આવ્યો ન હતો, થોડું બમ્પ જેવું આવ્યું હતું અને ક્લીનર જાગ્યો ત્યારે તેને ડ્રાઇવર દ્વારા જાણ કરવામાં આવી. યુવાનની ગુમ નોંધ તા. 6 માર્ચની સવારે કરવામા આવી હતી. જાણવાજોગની પ્રોસિઝર પછી ગુમ નોંધ બાદ તેમના દ્વારા બ્રોડકાસ્ટિંગ કરવામાં આવ્યું હતું. સામે પક્ષે આપણે પણ અહીં બ્રોડકાસ્ટિંગ કરેલું હતું અને તેના આધારે તા. 9 માર્ચના આઇડેન્ટીફીકેશન થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં 43 ઈજાની વાત સામે આવી હતી, તે તમામ હાર્ડ એન્ડ બ્લન્ટ ઓબ્જેક્ટથી થઈ હતી. તેઓએ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં લખેલું છે અને આ પ્રકારના અકસ્માતની અંદર હાર્ડ એન્ડ બ્લન્ટ ઓબ્જેક્ટથી ઈજા થતી હોય છે તેવું અનેક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આવતું હોય છે. નેશનલ હાઈવે ઉપર આટલી સ્પીડથી વાહનો પસાર થતા હોય અને રસ્તાની વચ્ચે અકસ્માત થાય ત્યારે વ્યક્તિને અનેક ઈજા થવાની સંભાવના છે, પરંતુ આ બાબતે પોલીસ તપાસ સતત શરૂ રાખશે કે આ તમામ ઇજા કઈ રીતે થઈ છે. જેથી આગામી દિવસોમાં ક્લેરીફિકેશન આવશે. બનાવ બન્યો તે સ્થળે કોઈ CCTV જ નથીજે જગ્યાએ બનાવ બન્યો છે તેના સીસીટીવી કોઈપણ જગ્યાએ ઉપલબ્ધ નથી. તેનાથી આગળ અને પાછળ સીસીટીવી છે તેનાથી અલગ અલગ બસોની મુવમેન્ટ જ દેખાય છે. બસમાં ડેમેજના આધારે ડ્રાઇવર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કુવાડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા તમામ જગ્યાએ એટલે કે જે જગ્યાએ બોડી લઈ જવામાં આવી અને હોસ્પિટલમાં જે બનાવ બન્યો તે તમામ જગ્યાએ સીસીટીવી કબજે કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. એમ્બ્યુલન્સના ધ્યાને બોડી આવતા સિવિલ ખસેડી હતી આ દરમિયાન પોલીસે શંકાસ્પદ 78 વાહનોનું ઝીરોઇન કરી તેમાં આ બસ વધુ શંકાસ્પદ જણાતા અને આગળ તપાસ કરતા ડ્રાઇવર દ્વારા કબૂલાત આપવામાં આવી હતી. ફેટલ એક્સિડન્ટ હોવાથી તેના ડિટેકશન ઉપર ફોકસ હતું અને તેને ધ્યાનમાં રાખીને તપાસ કરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટ અમદાવાદ હાઇવે પર તરઘડિયા નજીક ઓવરબ્રિજ પર મહાસાગર ટ્રાવેલ્સની અમદાવાદ તરફ જતી બસની અડફેટે ગોંડલના રાજસ્થાની યુવાન રાજકુમાર જાટનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. યુવાનના મોત બાદ મૃતક યુવાનનાં પરિવારજનો દ્વારા હત્યાના આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા. પરંતુ પોલીસ દ્વારા મૃત્યુ થયાના સમય પહેલાંના અને આસપાસના રાજકોટથી કુવાડવા સુધીના અંતરમાં જેટલાં વાહન પાસ થયાં તેના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. આ દરમિયાન માહિતી મળતાં પોલીસ દ્વારા મહાસાગર ટ્રાવેલ્સના સંચાલકનો સંપર્ક કરી બસચાલકની પૂછપરછ કરવામાં આવી હતી. જો કે બે દિવસ સુધી બસચાલકે પશુ સાથે બસ અથડાઈ હોવાનું જણાવ્યું હતું. પરંતુ 13 માર્ચના રોજ બસચાલકે અકસ્માત પોતે જ કર્યો હોવાનું જણાવી દીધું હતું. પોલીસે અધૂરા CCTV જાહેર કર્યાઅગાઉ મૃતક યુવાન રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મને ન્યાય મળ્યો નથી મારે ન્યાય જોઈએ છે. ન્યાય માટે કદાચ ભારતની સર્વોચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટ સુધી લડવું પડે તો પણ મારી તૈયારી છે. પોલીસ દ્વારા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘરના જે CCTV જાહેર કરવામાં આવ્યા છે તે અધૂરા છે. અમે ત્યાં અંદર લગભગ 15થી 20 મિનિટ સુધી ઘરમાં રહ્યા હતા. પોલીસે જે જાહેર કર્યા તે અધૂરા CCTV છે એડિટ કરેલા CCTV છે. 'દીકરાને મારી નાખ્યો, બોડી પર ઈજાનાં નિશાન હતાં'મને હવે CCTV ઉપર પણ ભરોસો નથી આવતો. મારા દીકરાને મારી નાખવામાં આવ્યો છે. મારા દીકરાના શરીર ઉપર ઈજાનાં નિશાન પણ જોવા મળ્યાં છે. નિશાન કેટલાં છે એ ગણ્યાં નથી પરંતુ અનેક ઈજાનાં નિશાન જોવા મળ્યાં હતાં તે શંકા ઉપજાવી રહ્યાં છે. મારે ન્યાય જોઈએ છે હું ન્યાય માટે સુપ્રીમ કોર્ટ સુધી લડવું પડશે તો લડીશ મારી તૈયારી છે. યુવકને કપડાં આપનારની ઓળખ થઈ હતીશાપરથી અકસ્માત બન્યો તે જગ્યા સુધીના CCTV ફૂટેજ ચેક કરતા ગોંડલ-રાજકોટ હાઇવે પર નિર્વસ્ત્ર હાલતમાં યુવક રસ્તા પરથી પસાર થતો જોવા મળ્યો હતો. આ પછી યુવકને કપડાં આપનારની પણ ઓળખ કરી તેનું પણ નિવેદન લેવામાં આવ્યું હતું. શું હતો સમગ્ર મામલો?મૂળ રાજસ્થાનના અને આશરે 30 વર્ષથી ગોંડલમાં ત્રણ ખૂણિયા પાસે શ્રીજી પાંઉભાજી નામની દુકાન ધરાવતા રતનભાઈ ચૌધરી (જાટ)નો પુત્ર રાજકુમાર જાટ 3 માર્ચે ઘરેથી ભેદી રીતે ગુમ થયો હતો. બે દિવસ સુધી રાજકુમાર ઘરે પરત ન આવતા 5 માર્ચના રોજ પિતા રતનકુમારે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસને અરજી પણ આપી હતી. આ સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. પિતાએ પોલીસમાં અરજી કરતા શહેરના બસ સ્ટેન્ડ સહિતનાં જાહેર સ્થળો ઉપર આ યુવક ગુમ થયો હોવાનાં પોસ્ટર લાગ્યાં હતાં. મૃતક રાજકુમાર UPSCની તૈયારી કરતો હતો. ઉલ્લેખનીય છે કે 4 માર્ચે રાત્રિના 3 વાગ્યા આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં તેનું મોત થયું હતું. 9 માર્ચે રાજકુમાર જાટના મૃતદેહની પરિવારજનોએ ઓળખ કરી હતી અને પીએમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો. વાંચવા માટે ક્લિક કરો.... પિતાએ કહ્યું- ગણેશે બે લાફા માર્યા પછી ઓર્ડર આપ્યો ચાલુ પડી જાવ

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 5:37 pm

અગ્નિવીર સંદીપ ખાંટ ઉત્તરાખંડથી તાલીમ પૂર્ણ કરી વતન ફર્યા:મોડાસાના બાજકોટ ગામે ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું

મોડાસાના બાજકોટ ગામના યુવક સંદીપ ખાંટ અગ્નિવીર તરીકે ઉત્તરાખંડમાં સાત માસની તાલીમ પૂર્ણ કરીને વતન પરત ફર્યા છે. વતન પરત ફરતા ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સંદીપ ખાંટના સ્વાગત માટે દેવરાજ ધામના મહંત મહેશગિરી બાપુએ તિલક, ફૂલહાર અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ પ્રસંગે ભારત માતા કી જય ના નારા સાથે પેલેટ ચોકડીથી દેવરાજ મંદિર સુધી વિશાળ રેલી કાઢવામાં આવી હતી. ડી.જે.ના તાલે દેશભક્તિના ગીતો પર લોકો ઝૂમી ઉઠ્યા હતા. સૈનિક વેશભૂષામાં સજ્જ પુત્રને જોઈને તેમના માતા-પિતાની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ ઉઠ્યા હતા. સંદીપકુમારે ખેડૂત પિતા કમલેશભાઈને સેલ્યુટ કરતાં આખું ગામ ભાવવિભોર થઈ ગયું હતું. બાજકોટ ગામમાંથી ભારતીય લશ્કરમાં અગ્નિવીર તરીકે જોડાનાર સંદીપકુમાર કમલેશભાઈ ખાંટ પ્રથમ યુવક છે. તેમની આ સિદ્ધિ ગામ અને ઠાકોર સમાજ માટે ગૌરવની ઐતિહાસિક ક્ષણ બની રહી છે, જે અન્ય યુવાનોને પણ દેશસેવા માટે પ્રેરણા પૂરી પાડે છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 5:37 pm

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં વિશ્વ જમીન દિવસ ઉજવાયો:‘હેલ્થી સોઈલ્સ ફોર હેલ્થી સીટી’ થીમ પર જાગૃતિ કાર્યક્રમનું આયોજન

દાંતીવાડાની સરદાર કૃષિનગર કૃષિ યુનિવર્સિટી ખાતે વિશ્વ જમીન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઈન્ડિયન સોસાયટી ઓફ સોઈલ સાયન્સના ઉપક્રમે 'હેલ્થી સોઈલ્સ ફોર હેલ્થી સીટી' થીમ હેઠળ આ દિવસ ઉજવાયો હતો. આ કાર્યક્રમ ચીમનભાઈ પટેલ કૃષિ મહાવિદ્યાલયમાં યોજાયો હતો. આ ઉજવણીનો મુખ્ય હેતુ જમીન સંરક્ષણ માટે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિતોને પ્લાસ્ટિક કચરો, ઔદ્યોગિક પ્રવાહી, રાસાયણિક પ્રદૂષણ અને ભૂગર્ભ જળના અયોગ્ય ઉપયોગથી જમીન પર થતા પ્રદૂષણ અંગે માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં જાગૃતિ વધારવા માટે પોસ્ટર, નિબંધ અને ડિબેટ જેવી સ્પર્ધાઓનું પણ આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓએ આ સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા. આ પ્રસંગે કૃષિ મહાવિદ્યાલયના આચાર્ય ડો. એસ.ડી. સોલંકીએ જણાવ્યું હતું કે, શહેરીકરણ સાથે ઉદ્યોગોમાંથી નીકળતા દૂષિત પાણી અને કચરાનું યોગ્ય સંચાલન કરવું અત્યંત જરૂરી છે. કૃષિ રસાયણ અને જમીન વિજ્ઞાન વિભાગના વડા ડો. જે.આર. જાટે રિસાયક્લિંગ સિટી કમ્પોસ્ટ દ્વારા જમીનનું સ્વાસ્થ્ય કેવી રીતે જાળવી શકાય તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 5:26 pm

ટંકારાના ખાખરા બ્રિજ પર પ્રતિબંધ છતાં ભારે વાહનોની અવર-જવર:રિપેરિંગ હેઠળના બ્રિજ પર કલેક્ટરના જાહેરનામાનો ભંગ

ટંકારા તાલુકાના ખાખરા ગામ પાસે આવેલો આજી નદી પરનો મેજર બ્રિજ હાલ મરામત હેઠળ છે. આ બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું મોરબી કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, તેમ છતાં તેની અમલવારી થતી નથી. ભારે વાહનો બેરોકટોક પસાર થઈ રહ્યા છે, જે સંભવિત દુર્ઘટનાનું કારણ બની શકે છે. લતીપર-સાવડી રોડ પરના આ બ્રિજની મરામત માટે સરકારે રૂ.1.75 કરોડ મંજૂર કર્યા છે. બ્રિજની મજબૂતી વધારવા માટે કામગીરી ચાલી રહી છે. માર્ગ અને મકાન વિભાગની દરખાસ્તના આધારે, જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરીએ બ્રિજનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રક, ડમ્પર અને મોટી એસટી બસ સહિતના ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડ્યું હતું. મોરબી માર્ગ અને મકાન વિભાગના વર્ક આસિસ્ટન્ટ જય દુબરિયાના જણાવ્યા અનુસાર, કલેક્ટર દ્વારા 14 ઓગસ્ટ, 2025ના રોજ આ બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જામનગરથી મોરબી અને કચ્છ તરફ જતા વાહનો માટે વૈકલ્પિક માર્ગો પણ સૂચવવામાં આવ્યા છે. જેમાં ધ્રોલથી પડધરી, મીતાણા અને ટંકારા થઈને મોરબી જવાનો માર્ગ તેમજ ધ્રોલથી પીપળીયા ચોકડી થઈને મોરબી અને કચ્છ જવાનો માર્ગ સામેલ છે. જોકે, વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાથી કિલોમીટર અને ખર્ચ બંને વધે છે. આ કારણે ભારે વાહનચાલકો કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરીને રિપેરિંગ હેઠળના બ્રિજ પરથી જ પસાર થઈ રહ્યા છે. સ્થાનિક પોલીસ અધિકારીઓ અને સ્ટાફની બેદરકારીને કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું મનાય છે. જો આ બ્રિજ પર કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તે એક મોટો પ્રશ્ન છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 5:19 pm

નવસારીમાં ગાંજાનું વેચાણ કરનાર રીઢો આરોપી ઝડપાયો:PIT NDPS હેઠળ કાર્યવાહી કરી રાજકોટ જેલમાં મોકલાયો

નવસારી પોલીસે નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ સામે કડક કાર્યવાહી કરી છે. આ ઝુંબેશના ભાગરૂપે, ગાંજાનું વારંવાર વેચાણ કરનાર રીઢા આરોપી સોયેબ મુસ્તકીમ શેખની PIT NDPS એક્ટ હેઠળ અટકાયત કરવામાં આવી છે. તેને કાયદેસરની કાર્યવાહી બાદ રાજકોટની મધ્યસ્થ જેલમાં મોકલી દેવાયો છે. જિલ્લાને નશામુક્ત બનાવવા અને યુવાધનને ડ્રગ્સના દૂષણથી બચાવવાના હેતુસર આ કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ SOG, નવસારીના પોલીસ ઇન્સ્પેકટર પી.એ.આર્ય દ્વારા PIT NDPS એક્ટ, 1988ની કલમ 3 હેઠળ કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. અટકાયત કરાયેલા આરોપીનું નામ સોયેબ મુસ્તકીમ શેખ (ઉંમર 28 વર્ષ) છે. તે નવસારીના મહેમુદા મંઝીલ, શેખ પેઇન્ટરની ગલી, મોટી દરગાહ સામેનો રહેવાસી છે. સોયેબ શેખ વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021 અને 2025માં NDPS એક્ટ હેઠળ કુલ બે ગુનાઓ નોંધાયેલા છે. વારંવાર ગુનાઓમાં સંડોવાયેલા હોવાથી, તેના વિરુદ્ધ PIT NDPS એક્ટ, 1988ની કલમ 3ની જોગવાઈ મુજબ કાર્યવાહી કરીને તેની અટકાયત કરવામાં આવી હતી. કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આરોપી સોયેબ મુસ્તકીમ શેખને મધ્યસ્થ જેલ, રાજકોટ ખાતે મોકલી દેવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી નશાના ગેરકાયદેસર વેપારમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 5:17 pm

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં સંચાલક મંડળની મહત્ત્વપૂર્ણ બેઠક:શૈક્ષણિક આયોજનો, ગુણવત્તા અને વહીવટી મુદ્દાઓ પર ચર્ચા

પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન તમામ વિદ્યાશાખાની કોલેજોના સંચાલક મંડળના પ્રમુખ અને મંત્રીઓની એક અગત્યની બેઠક કુલપતિના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં યુનિવર્સિટીના ભાવિ શૈક્ષણિક આયોજનો, શિક્ષણની ગુણવત્તા અને વહીવટી મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. યુનિવર્સિટી કેમ્પસના કન્વેન્સન હોલ ખાતે આયોજિત આ સંયુક્ત સભામાં કુલપતિએ શિક્ષણના હિતમાં સૌના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના ભાવિ શૈક્ષણિક આયોજનો, શિક્ષણની ગુણવત્તા અને વહીવટી મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કરવો અત્યંત જરૂરી છે. કુલપતિએ તેમના સંબોધનમાં મેનેજમેન્ટ, પ્રિન્સિપાલો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સંબંધિત ફરિયાદોની વધતી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે નોંધ્યું હતું કે, ઘણીવાર એક મેનેજમેન્ટ બીજા મેનેજમેન્ટના વિરોધમાં હોય છે, જેના કારણે યુનિવર્સિટીને બિનજરૂરી રીતે આ બાબતોમાં સામેલ થવું પડે છે. કુલપતિએ સ્પષ્ટતા કરી હતી કે, યુનિવર્સિટી મૌખિક રજૂઆતો સાંભળે છે, પરંતુ જ્યારે લેખિત ફરિયાદ આવે છે અથવા કોર્ટ દ્વારા કોઈ નિર્દેશ આપવામાં આવે છે, ત્યારે યુનિવર્સિટી દ્વારા સરકારને જવાબ આપવો ફરજિયાત બને છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, યુનિવર્સિટી તેનું કાર્ય તટસ્થતાથી કરી રહી છે અને આ કાર્યમાં સૌનો સહકાર અનિવાર્ય છે. કુલપતિના નિવેદન બાદ કોલેજોના સંચાલક મંડળના પ્રમુખ અને મંત્રીઓના સૂચનો પણ સાંભળવામાં આવ્યા હતા અને તેના પર યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી. આ બેઠકમાં રજિસ્ટ્રાર રોહિત દેસાઈ, નાયબ રજિસ્ટ્રાર કમલ મોંઢ, મુકેશ પટેલ, દિલીપ ચૌધરી સહિત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના સંચાલક મંડળના પ્રમુખ અને મંત્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 5:15 pm

જામનગરમાં મેગા ડિમોલિશન; 52 હજાર ફૂટ જગ્યા ખુલ્લી કરાશે:જકાતનાકાથી સાંઢીયા પુલ સુધીનો માર્ગ પહોળો કરાશે, 7 મકાનો, 79 દુકાનો હટાવાશે, ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના સૌથી વ્યસ્ત જકાતનાકાથી સાંઢીયા પુલ સુધીના માર્ગને પહોળો કરવા મેગા ડિમોલિશન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત આશરે 15 કરોડ રૂપિયાની કિંમતની 52 હજાર ચોરસ ફૂટથી વધુ જમીન ખુલ્લી કરાવવામાં આવશે. શહેરના ટ્રાફિક અને વાહનવ્યવહારને સુગમ બનાવવાના હેતુથી આ કામગીરી હાથ ધરાઈ છે. આ ડિમોલિશનમાં કુલ 7 રહેણાંક મકાનો અને 79 દુકાનોને હટાવવામાં આવી રહી છે. મહાનગરપાલિકાની ટીપી ડીપી શાખા દ્વારા 86 આસામીઓને નોટિસ પાઠવવામાં આવી હતી, જેઓ ડીપી કપાતમાં આવતા હતા. નોટિસ મળ્યા બાદ કેટલાક આસામીઓ સ્વેચ્છાએ પોતાના બાંધકામો દૂર કરી રહ્યા છે. જકાતનાકાથી હરિયા કોલેજવાળા રોડ પર બાયપાસ સુધી 30 મીટરનો ડીપી રોડ મંજૂર કરવામાં આવ્યો છે. વર્ષોથી આ માર્ગ પર સંકડાશ અને ગેરકાયદેસર બાંધકામોને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી હતી. નાગરિકોની સુવિધા અને શહેરના વિકાસને ધ્યાનમાં રાખીને તંત્રએ આ દબાણો દૂર કરવાનો નિર્ણય લીધો છે. આ કામગીરી માટે મનપાનો સ્ટાફ, પોલીસ કાફલો અને ડિમોલિશનના સાધનો ઘટના સ્થળે તૈનાત છે. મહાનગરપાલિકા દ્વારા આ કાર્યવાહીમાં સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. મહાનગરપાલિકાએ બે દિવસના ટૂંકા ગાળામાં આ જમીન ખુલ્લી કરાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. 52 હજાર ચોરસ ફૂટથી વધુ વિસ્તાર ખુલ્લો થવાથી આ માર્ગ પર ટ્રાફિકની સમસ્યામાં મોટો ઘટાડો થશે અને વાહનચાલકોને સરળતા રહેશે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 5:08 pm

કસોલથી ચરસ કારમાં લઇ સુરત આવ્યા:ચરસ લાવનારા ફાઇનાન્સર સહિત ત્રણ ઝડપાયા, મુખ્ય આરોપીનો ભાઈ અગાઉ ડ્રગ્સ કેસમાં પકડાયેલો

સુરત શહેરમાં હાલમાં પોલીસ દ્વારા 'નો ડ્રગ્સ' અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે ક્રાઇમ બ્રાંચે ડ્રગ્સની હેરાફેરીના વધુ એક મોટા કિસ્સાનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે ઓલપાડથી જહાંગીરપુરા તરફ આવતા બ્રિજના નાકા પાસેથી એક સ્કૉડા સુપર્બ કારને આંતરી હતી. કારમાં સવાર 3 યુવકોની તલાશી લેતા તેમની પાસેથી રૂપિયા 34,327ની કિંમતનો કુલ 137.310 ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો.કસોલથી ચરસ લાવનારા ફાઇનાન્સર સહિત ત્રણ ઝડપાયા છે જ્યારે મુખ્ય આરોપીનો ભાઈ અગાઉ ડ્રગ્સ કેસમાં દિલ્હીમાં પકડાયેલો છે. મોબાઇલ અને કાર મળીને કુલ 7.14 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યોઝડપાયેલા આરોપીઓમાં અનુપ જમનસીંગ બીષ્ટ, મયંકકુમાર દિનેશ અને જીગર પિંકુકુમાર વાંકાવાલાનો સમાવેશ થાય છે. પોલીસે ચરસ, મોબાઇલ ફોન અને કાર મળીને કુલ 7.14 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસની પૂછપરછમાં ત્રણેય આરોપીઓએ કબૂલ્યું કે તેઓ આ ચરસનો જથ્થો દૂર હિમાચલ પ્રદેશના પ્રખ્યાત સ્થળ કસોલથી લાવ્યા હતા. મુખ્ય આરોપી અનુપ બિષ્ટ પોતે હિમાચલનો રહેવાસી છે અને સુરતમાં જમીન દલાલી તથા ફાઇનાન્સનો ધંધો કરે છે. અગાઉ વર્ષ 2024માં દિલ્હીમાં 1 કિલોથી વધુ ચરસના જથ્થા સાથે થયોઆ કેસમાં સૌથી મહત્ત્વની અને ગંભીર બાબત એ છે કે, મુખ્ય આરોપી અનુપ બિષ્ટનો ભાઈ પણ અગાઉ વર્ષ 2024માં દિલ્હીમાં 1 કિલોથી વધુ ચરસના જથ્થા સાથે પકડાઈ ચૂક્યો છે. આ પારિવારિક કનેક્શન સ્પષ્ટ કરે છે કે અનુપ બિષ્ટ અને તેના પરિવારના સભ્યો ડ્રગ્સના નેટવર્કમાં ઊંડાણપૂર્વક સંડોવાયેલા હોવાની પ્રબળ શંકા છે. પોલીસે હવે આ 3 આરોપીઓની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છેડીસીપી ક્રાઇમ ભાવેશ રોજીયાએ જણાવ્યું કે, આરોપીઓ દાવો કરી રહ્યા છે કે, આ ચરસ તેઓ પોતાના વ્યક્તિગત ઉપયોગ માટે લાવ્યા હતા અને તેઓ ઝીંગાના બિઝનેસ સાથે પણ સંકળાયેલા છે, પરંતુ આટલો મોટો જથ્થો અંગત વપરાશ માટે લાવવાની વાત પોલીસના ગળે ઉતરી નથી. પોલીસે હવે આ 3 આરોપીઓની ધરપકડ કરીને તેઓ કયા નેટવર્ક સાથે જોડાયેલા છે, તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 4:59 pm

છોટા ઉદેપુરના 25 અગ્નિવીર સૈનિકો તાલીમ પૂર્ણ કરી પરત ફર્યા:રેલવે સ્ટેશને સ્થાનિક લોકો અને પરિવારજનોએ ભવ્ય સ્વાગત કર્યું

છોટા ઉદેપુર જિલ્લાના 25 અગ્નિવીર સૈનિકો તેમની તાલીમ પૂર્ણ કરીને વતન પરત ફર્યા છે. જિલ્લામાંથી કુલ 113 યુવાનો અગ્નિવીર યોજના હેઠળ સૈનિક તરીકે પસંદગી પામ્યા હતા, જેમાંથી આ 25 યુવાનોએ તાલીમનો પ્રથમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. આ યુવાનો છોટા ઉદેપુર રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકો અને પરિવારજનોએ તેમને આવકાર્યા હતા. આ અગ્નિવીર સૈનિકો હવે દેશના વિવિધ ભાગોમાં પોતાની સેવાઓ આપશે અને રાષ્ટ્રની રક્ષામાં યોગદાન આપશે. તેમની તાલીમ પૂર્ણ થતા જિલ્લામાં સંતોષ અને ગર્વનો માહોલ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 4:53 pm

વેરાવળ-સુત્રાપાડામાં PGVCLની મેગા ચેકિંગ ડ્રાઇવ:87 વીજચોરી ઝડપાઈ, 21.36 લાખનો દંડ ફટકારાયો

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં PGVCL દ્વારા વહેલી સવારથી મેગા વીજ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢ સર્કલ હેઠળના વેરાવળ ડિવિઝનના સુત્રાપાડા અને પ્રભાસ પાટણ સબ ડિવિઝનના ગ્રામ્ય વિસ્તારોમાં આ ખાસ કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરાયું હતું. આ ડ્રાઇવ માટે અંદાજે 50 ટીમો બનાવવામાં આવી હતી, જેમાં PGVCLના અધિકારીઓ સાથે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત હતો. વહેલી સવારથી જ થોરડી, સિંગસર, લોઢવા, બળવેલા, લાટી, કદવાર, ડારી, છાત્રોડા અને નવાપરા સહિતના ગામોમાં ચેકિંગ ટીમોએ કાર્યવાહી કરી હતી. વહેલી સવારથી બપોર સુધીમાં કુલ 258 વાણિજ્યિક અને રહેણાંક વીજ જોડાણોની તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં 87 વીજ જોડાણોમાં ગેરરીતિ અને વીજચોરી ઝડપાઈ હતી. વીજ તંત્ર દ્વારા વીજચોરી કરનારા ગ્રાહકોને કુલ રૂ. 21.36 લાખનું દંડ બિલ ફટકારવામાં આવ્યું છે. PGVCLની આ અચાનક અને વ્યાપક કાર્યવાહીથી ગ્રામ્ય વિસ્તારોમાં વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. PGVCL તંત્રએ જણાવ્યું છે કે આવનારા દિવસોમાં પણ સમયાંતરે આવી ચેકિંગ ડ્રાઇવ ચાલુ રહેશે, જેથી વીજચોરી પર કડક નિયંત્રણ લાવી શકાય.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 4:49 pm

ગાંધીનગરમાં 'ડોર સ્ટેપ ડિલિવરી' સિસ્ટમનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ:બાયોમેટ્રિક-ઓટીપી આધારિત આવશ્યક ચીજ વસ્તુના જથ્થાની ડિલિવરી થશે, ગરીબ પરિવારોને યોજનાનો સીધો લાભ

રાજ્ય સરકાર દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થામાં ઐતિહાસિક સુધારા લાવવા અને તેને વધુ પારદર્શક બનાવવા માટે ગાંધીનગર જિલ્લાની પસંદગી એક નવીન વ્યવસ્થાઓના નિર્માણ માટેના પાયલોટ પ્રોજેક્ટ તરીકે કરવામાં આવી છે. આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ડોર સ્ટેપ ડિલિવરી સિસ્ટમને મજબૂત કરવા માટે આજે તારાપુર ખાતે આવેલા વ્યાજબી ભાવની દુકાન પર આ પ્રથમ પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો. તારાપુરમાં વ્યાજબી ભાવની દુકાન પર પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભજાહેર વિતરણ વ્યવસ્થામાં ઐતિહાસિક સુધારા લાવવા અને તેને વધુ પારદર્શક બનાવવા માટે આજથી બાયોમેટ્રિક-ઓટીપી આધારિત ડિલિવરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લાના તારાપુર ખાતે આવેલી વ્યાજબી ભાવની દુકાન પર આ પ્રથમ પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો. બે સભ્યોની હાજરીમાં ડોર સ્ટેપ ડિલિવરી કરાશેઆ પ્રસંગે મુખ્ય સચિવ મોના ખંધાર, નિયામક મયુર મહેતા, કલેક્ટર મેહુલ કે. દવે, જિલ્લા પુરવઠા અધિકારી રિદ્ધિ શુક્લા તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા. આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ તાલુકા ગોડાઉનમાંથી વ્યાજબી ભાવની દુકાનો પર આવતા આવશ્યક ચીજ વસ્તુના જથ્થાની ડિલિવરી સમયે એક નવી પ્રથા અમલમાં મૂકવામાં આવી છે. જે અન્વયે ગ્રામ્ય તકેદારી સમિતિના ઓછામાં ઓછા બે સભ્યોની હાજરીમાં ડોર સ્ટેપ ડિલિવરી કરવામાં આવશે. બાયોમેટ્રિક-ઓટીપી બેઇઝ્ડ સિસ્ટમથી પુષ્ટિ કરાશેઆ ઉપરાંત જથ્થાની ચકાસણી કરીને તેમની સહી લેવામાં આવે તે પહેલાં બાયોમેટ્રિક અથવા ઓ.ટી.પી. (OTP) બેઇઝ્ડ સિસ્ટમથી તેની પુષ્ટિ કરવામાં આવશે. આનાથી ડિલિવરી પ્રક્રિયા વધુ પારદર્શી બનશે અને જથ્થામાં થતી ગેરરીતિ અટકાવી શકાશે. લાખો ગરીબ પરિવારોને યોજનાનો સંપૂર્ણ લાભઆ નવી વ્યવસ્થાથી લાભાર્થીઓને ગુણવત્તાયુક્ત અને પુરતો અનાજનો જથ્થો મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે. રાજ્ય સરકારના આ પ્રયાસને પગલે જાહેર વિતરણ વ્યવસ્થામાં એક નવી દિશા મળશે અને લાખો ગરીબ પરિવારોને યોજનાનો સંપૂર્ણ લાભ મળી શકશે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 4:49 pm

ખેલ મહાકુંભમાં વ્હિલ ચેરની સુવિધા નહીં, દિવ્યાંગો ઘસડાઈને જવા મજબૂર:ખેલાડીએ કહ્યું '75 રૂપિયા લેવા જવા અમારે 200નો ખર્ચ થાય છે', આવેદનપત્ર આપીને ઉકેલ લાવવા માગ કરી

મહેસાણામાં દિવ્યાંગોને ખેલ મહાકુંભ દરમિયાન યોગ્ય સગવડ ના આપવામાં આવતી હોવાની દિવ્યાંગોએ દાવો કર્યો છે. દિવ્યાંગોએ કહ્યું વ્હિલ ચેરની સુવિધા ન હોવાથી ઘસડાઈને જવું પડે છે. દિવ્યાંગો માટે ખેલ મહાકુંભમાં અવ્યવસ્થાદિવ્યાંગ ખેલાડીઓ રમતગમતમાં આગળ વધે તે હેતુથી સરકાર દ્વારા સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે અને તે માટે મોટી ગ્રાન્ટ પણ ફાળવવામાં આવે છે. પરંતુ ભૂતકાળમાં મહેસાણામાં યોજાયેલા ખેલ મહાકુંભમાં અનેક અવ્યવસ્થાઓ જોવા મળી હતી. આથી આગામી વર્ષ 2025-26ના સ્પેશિયલ ખેલ મહાકુંભમાં માત્ર ગ્રાન્ટ વાપરવાને બદલે દિવ્યાંગોની સુવિધા સચવાય તે માટે જાગૃત નાગરિકો અને ખેલાડીઓ દ્વારા તંત્ર સમક્ષ આવેદનપત્ર આપી મહત્વની માગણીઓ કરવામાં આવી છે. '75 રૂપિયા લેવા જવા અમારે 200નો ખર્ચ થાય છે'અરજી કરનાર રામજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, અમારી માગણી છે કે દરેક દિવ્યાંગને જે રીતના રમાડવાનું સ્પોર્ટ્સ અધિકારીનું જે ગ્રાઉન્ડ હોય સરકારે બનાવેલું પ્રોપર ગ્રાઉન્ડ તો ગ્રાઉન્ડની અંદર રમાડે અને અમને જે સુવિધાઓ જે સરકાર આપે એ અમને પૂરેપૂરી મળવી જોવે. જે અમારે ભાડું આપવામાં આવે 75 રૂપિયા લેવા માટે અમારે 200 રૂપિયા ખર્ચીને જે પોતાને ત્યાં જવું પડે છે એના બદલે ડાયરેક્ટ અમારા ખાતામાં આવે એવી અમારી માગણી છે. આ છે માગણીઓ

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 4:49 pm

લ્યો બોલો ! ફિઝિકલ વાહન વગર ફિટનેસ સર્ટિ આપ્યા:29 વાહનોને ખોટા સર્ટિફિકેટ આપી દેનાર વડોદરાના સાંકરડા એમ.ડી. મોટર્સ ફિટનેસ સેન્ટરનું લાઈસન્સ સસ્પેન્ડ

વડોદરા પાસે આવેલ સાંકરદા ગામે એમ.ડી. મોટર્સ ફિટનેસ સેન્ટર દ્વારા વાહનોના બોગસ ફિટનેસ સર્ટિફિકેટ આપ્યા હોવાનો ખુલાસો તપાસમાં સામે આવતા આખરે ટ્રાન્સપોર્ટ કચેરી દ્વારા તેનું લાઈસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. આ સેન્ટર દ્વારા 29 વાહનોને ખોટા ફિટનેસ આપ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. વાહનોની ફિઝિકલ હાજરી વગર જ ફિટનેસ સર્ટિફિકેટ અપાયાવડોદરા નજીક આવેલ સાંકરદા ખાતે આવેલ એમ ડી મોટર્સના સંચાલક દ્વારા ફિઝિકલ વાહન વગર તે વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ આપ્યાં હોવાની માહિતી ટ્રાન્સપોર્ટ કચેરીને મળતા તે અંગે ટ્રાન્સપોર્ટ કચેરી દ્વારા એમ.ડી મોટર્સમાં ઈન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. જેમા MD મોટર્સના સંચાલકે અત્યાર સુધીમાં 29 વાહનોના સર્ટિફિકેટ બારોબાર આપી દીધા હોવાનું કૌભાંડ સામે આવ્યું આવ્યું છે. અન્ય ફિટનેસ સેન્ટરોમાં પણ ગેરરીતિ થતી હોવાની લોકોમાં ચર્ચા જોવા મળી રહી છે ત્યારે તેઓ સામે પણ યોગ્ય તપાસ અને કાર્યવાહી થાય તેવી લોકોમાં માંગ ઉઠી છે. ખાનગી એજન્સીનું લાયસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ આ અંગેની તપાસ બાદ સંપૂર્ણ રિપોર્ટ કચેરીના અધિકારીઓને મળતા અધિકારીઓએ એમ ડી મોટર્સનું લાઈસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કર્યો હતો. ટ્રાન્સપોર્ટ કચેરી દ્વારા કરાયેલા હુકમને લઈને અન્ય ફિટનેસ સેન્ટરના સંચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. આ આખા કૌભાંડમાં સંચાલકે 29 વાહનોના ફિટનેસ સર્ટિ ખોટા ઇશ્યૂ કરાયા હોવાનું સામે આવ્યું છે અને જેમાં મોટા ભાગના વાહનનો રાજ્ય બહારના હોવાનું જાણવા મળ્યું છે. ફિટનેસ સેન્ટરો પર મોટાપાયે ગેરરીતિ થતી હોવાની ચર્ચાઉલ્લેખનીય છે કે હાલમાં ફિટનેસ માટે વડોદરામાં પાંચ સેન્ટર આવેલા છે જે તમામ ખાનગી છે. હાલમાં વાહન દીઠ 1000 રૂપિયા ચાર્જ છે જેની સામે ખોટા સર્ટિ માટે હજારો રૂપિયા વસુલવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. હાલમાં ખાનગીકરણને લઈ તમામ સેન્ટરો કમિશનર કચેરી હેઠળ આવે છે. જેથી સ્થાનિક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા કોઈ કાર્યવાહી થઈ શકતી નથી. ત્યારે આવી ગેરરીતિ અન્ય ફિટનેસ સેન્ટરોમાં પણ થતી હોવાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે. ત્યારે અન્ય ફિટનેસ સેન્ટરો સામે કાર્યવાહી થશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે? ખોટા સર્ટિફિકેટ આપનાર ફિટનેસ સંચાલક સામે ફરિયાદની કાર્યવાહી થશે કે કેમ કેમ ? તે પણ એક સવાલ છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 4:40 pm

'સ્ટિકર લગાવો ને શટલ દોડાવો', હપ્તારાજના કૌભાંડનો ખુલાસો કરતો VIDEO:અમદાવાદમાં દોઢ લાખ રિક્ષાચાલકો પાસેથી 180 કરોડ હપ્તા પેટે પોલીસ ઊઘરાવતી હોવાનો કોંગ્રેસનો દાવો

અમદાવાદમાં દોડતી શટલ રિક્ષામાં સ્ટીકર લગાવી પોલીસ અને તેના વહીવટદારો હપ્તા લેતા હોવાનો કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. રિક્ષામાં દર મહિને અલગ-અલગ પ્રકારના સ્ટીકર લગાવી ગેરકાયદેસર હપ્તાની ઉઘરાણી કરતી હોવાનો કોંગ્રેસ દ્વારા વીડિયો જાહેર કરી દાવો કરવામાં આવ્યો છે. એક રીક્ષા દીઠ 1000 રૂપિયાની ઉઘરાણી કરી પોલીસ વિભાગ 180 કરોડથી વધુના ગેરકાયદેસર હપ્તા પેટે ઊઘરાણા કરીને ભ્રષ્ટાચાર કરે છે, જેની તપાસ કરવામાં આવે એવી ગૃહ મંત્રી પાસે માંગ કરી છે. રિક્ષામાં સ્ટીકર લગાવીને દર મહિને 1 હજારની ગેરકાયદેસર ઊઘરાણીઅમદાવાદમાં દોડતી શટલ રિક્ષામાં એક અલગ જ પ્રકારનું સ્ટીકર લગાવેલું કોંગ્રેસ નેતાના ધ્યાનમાં આવ્યું. આ સ્ટીકર વિશે જ્યારે રિક્ષાચાલક સાથે વાત કરી ત્યારે તેમને જાણવા મળ્યું કે, આ સ્ટીકર પર પોલીસ દ્વારા હપ્તારાજનું કૌભાંડ ચાલે છે. દર મહિને અલગ-અલગ કલરનું સ્ટીકર લગાવીને પોલીસ અને વહીવટદારો એક રિક્ષા દીઠ દર મહિને એક હજાર રૂપિયાની ઉઘરાણી કરે છે. આ સ્ટીકર લગાવવાનું કારણ એ છે કે, જે રિક્ષા પર સ્ટીકર લાગ્યું હોય તે રિક્ષાચાલકે પોલીસને હપ્તો આપ્યો હોવાનું માની તેની રિક્ષાને કોઈપણ પોઇન્ટ પર રોકવામાં આવતી નથી. જો કોઈ રિક્ષાચાલક આ સ્ટીકર લગાવે નહીં તો તેને અલગ-અલગ પોઇન્ટ પર રોકીને ડિટેઈન કરીને દંડ કરવામાં આવતો હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. એક રિક્ષાના હજાર રૂપિયા એટલે વાર્ષિક બાર હજાર રુપિયાગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે આ દાવા સાથે એક વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં એક રિક્ષાચાલક આ દાવાની પુષ્ટી કરે છે. વીડિયોમાં રિક્ષાચાલક કહે છે કે, એક હજાર રૂપિયાનો હપ્તો વહીવટદાર લેવા માટે આવે છે. સ્ટીકર લગાવવામાં આવ્યું હોય તો પોઇન્ટ પર રોકવામાં આવતા નથી. જો પકડે તો પહેલા સ્ટીકર ચેક કરવામાં આવે છે. જો સ્ટીકર હોય તો પછી કશું કરતા નથી. દિવાળીના દિવસે અલગ સ્ટીકર લગાવવામાં આવે છે એટલે દિવાળીનું હોવાનું ગણી લેવામાં આવે છે. એક રિક્ષાના હજાર રૂપિયા એટલે વર્ષે એક રિક્ષાના 12 હજાર રૂપિયા હપ્તો લેવામાં આવે છે. આવી અમદાવાદમાં સાડા 7 લાખ રિક્ષાઓ છે. જેના અલગ-અલગ વિસ્તારમાં હપ્તા ચાલતા હોય છે. એક મોટો ભ્રષ્ટાચાર મારા ધ્યાને આવ્યો અને સાબિતી સાથે રજૂ કર્યોવધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતની અંદર અલગ-અલગ ગમે તેટલા ડિપાર્ટમેન્ટ હોય, દરેક વિભાગ પોતપોતાની ભ્રષ્ટાચારની નવી-નવી પદ્ધતિઓ શોધી લેતું હોય છે. એક જમાનામાં ભાજપના મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાતની અંદર સૌથી વધારે બે ખાતા ભ્રષ્ટાચાર કરે છે. એક રેવન્યુ અને બીજું પોલીસ તો આજે જે એક મોટો ભ્રષ્ટાચાર મારા ધ્યાને આવ્યો છે અને એ જ ભ્રષ્ટાચાર છે એ સાબિતી સાથે રજૂ કર્યો છે. પોલીસના વહીવટદારો દ્વારા દર મહિને ખંડણી વસૂલાય છેઅમદાવાદની અંદર જેટલી રિક્ષાઓ છે એ રિક્ષાઓની અંદર જે શટલ ચાલે છે એમના માટે એક સ્પેશિયલ પ્રકારનું સ્ટીકર બનાવવામાં આવે છે અને આ સ્ટીકર એ પોલીસ સ્ટેશનવાળા નહીં પરંતુ, જે પણ શટલ રિક્ષા ચાલે છે એ શટલ રિક્ષામાં એક સ્ટીકર લગાવવામાં આવે છે આગળના ભાગમાં. આ જે સ્ટીકર છે એ સ્ટીકરના પોલીસના વહીવટદારો દ્વારા દર મહિને 1,000 અવૈધ રીતે ખંડણી સ્વરૂપે વસુલાય છે. દર મહિને 1,000 એટલે વાર્ષિક એક રીક્ષાના 12000 રૂપિયા આ સ્ટીકરવામાં વસૂલાય છે. ગરીબ રિક્ષાવાળાએ સ્ટીકર ના લગાવ્યું હોય તો દંડની કાર્યવાહીઆ સિસ્ટમેટિક ભ્રષ્ટાચાર તો જુઓ દર મહિને એનું સ્ટીકર બદલાઈ જાય દિવાળી આવે તો સામાન્ય એમ લાગે છે કે, આ દિવાળીના સ્ટીકરના દીવા છે પરંતુ, તે દિવાળીના દીવા નથી હોતા એ સ્ટીકર ભ્રષ્ટાચારનું સ્વરૂપ હોય છે. પોઇન્ટ પર વારંવાર રિક્ષાને રોકવામાં આવે છે અને સ્ટીકર હોય તો તેને જવા દેવામાં આવે છે. જે ગરીબ રિક્ષાવાળાએ સ્ટીકર ના લગાવ્યું હોય તેની રિક્ષા ડિટેઈન કરીને દંડની કાર્યવાહી કરવામાં આવે છે. મેં પોતે રીક્ષાના બેસીને ચર્ચા કરીને વીડિયો પણ બનાવ્યો છે. આ સિસ્ટમેટિક કૌભાંડ છે, હપ્તા ગાંધીનગર સુધી પણ પહોંચતા હોય વીડિયો જાહેર કરીને હેમાંગ રાવલ જણાવે છે કે, જો આવા પ્રકારનો ભ્રષ્ટાચાર થતો હોય અને એમાં પણ પોલીસ ખાતામાં ભ્રષ્ટાચાર હોય તો તેની તપાસ કરવાની જવાબદારી ગૃહ મંત્રીની હોય છે. સંસ્કારી ગૃહમંત્રી નાની-નાની બાબતોમાં વારંવાર પ્રેસમાં આવતા હોય ત્યારે તેમને વિનંતી છે કે, આ બાબતે ઘટતું કરે આ સ્ટીકર કૌભાંડ જે છે, એ કરોડનો રૂપિયાનું કૌભાંડ છે. આ સિસ્ટમેટિક કૌભાંડ છે અને આટલા મોટા રૂપિયાનું કૌભાંડ હોય તો એના હપ્તા ગાંધીનગર સુધી પહોંચતા હોય એ વાત નિર્વિવાદ છે. ગુજરાતની અંદર હજારો કરોડથી વધુના કથિત હપ્તા લેવાતા હોવાના દાવાગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માગણી કરે છે કે, જલ્દીથી આ રિક્ષાના સ્ટીકર કૌભાંડના જે ગુજરાતની અંદર હજારો કરોડથી વધુના કથિત હપ્તા લેવાયા છે તેના માટે તપાસ સમિતિ રચવામાં આવે એની તપાસ કરવામાં આવે. મારા તરફથી જે પણ પુરાવા રજૂ કરવા હોય એ સરકારને આપવા માટે તૈયાર છું. ગીચ વિસ્તારમાં રિક્ષાઓને મંજૂરી આપવી જોઈએ. જો કાયદેસર મંજૂરી આપવામાં આવે તો કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર સ્ટીકર કાંડ થતા અટકશે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 4:40 pm

વડોદરામાં નશાકારક કફ સીરપનો જથ્થો ઝડપાયો:આજવા રોડ પરથી નશાકારક કફ સીરપના જથ્થા સાથે ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી, 12,941 રૂપિયાની કિંમતની 11 બોટલ જપ્ત

યુવાનોને ડ્રગ્સ અને નશીલા પદાર્થોની લતથી મુક્ત કરવા વડોદરા શહેર પોલીસની ઝુંબેશ યથાવત છે. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે આજવા રોડ, દત્તનગર વિસ્તારમાં દરોડો પાડી નશાકારક કફ સીરપની 11 બોટલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ કફ સીરપમાં નાર્કોટિક ઘટક હોવાથી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, દત્તનગર, સયાજીપાર્ક પાસે આજવા રોડ પર રહેતા મનજીતસિંગ કતારસિંગ સિકલીગર (ઉ.વ. 36) નામનો ઇસમ પોતાના ઘરમાં નશાકારક કફ સીરપનો જથ્થો છુટક વેચાણ માટે સંતાડીને રાખે છે. આ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તુરંત રેઇડ પાડી હતી. ઘરમાંથી લોખંડના કબાટ પાસેની થેલીમાંથી Rx Triprolidine Hydrochloride Codeine Phosphate Syrupની કુલ 11 બોટલ મળી આવી હતી, જેની કુલ કિંમત રૂ. 12,941થાય છે. આ દવામાં કોડીન નામનો નાર્કોટિક ઘટક હતું અને તેનું વેચાણ વગર લાઇસન્સે ગેરકાયદે છે. આરોપી પાસે કોઈ પરવાનગી કે લાઇસન્સ ન હોવાનું તપાસમાં જણાઈ આવ્યું હતું. આરોપી મનજીતસિંગ સિકલીગરની સામે NDPS એક્ટની જોગવાઈ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે આરોપીનો ગુનાહીત ઇતિહાસ :આરોપી અગાઉ ચોરીના કુલ 4 ગુનામાં સીટી, વારસિયા, સમા અને મકરપુરા પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલો છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 4:31 pm

710 કરોડનું સાયબર ફ્રોડ, ગેંગની ભાવનગરથી ધરપકડ:ઇન્ડસઇન્ડ બેંકમાં 100થી વધુ ફેક એકાઉન્ટ ખોલ્યાં, 10 ઓરોપી સામે 1,544 ગુના, બે બેંક કર્મીની સંડોવણી

ગુજરાત સ્ટેટ સાયબર સેલે 710 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરી ભાવનગરથી 10 લોકોની ગેંગની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં બે ઇન્ડસઇન્ડ બેંકના કર્મચારી છે. આ ગેંગ ભાવનગરની ઇન્ડસઇન્ડ બેંકમાં 100થી વધુ ફેક અકાઉન્ટ ખોલી છેતરપિંડીના નાણાની હેરાફેરી કરતી હતી. તપાસમાં સામે આવ્યું કે, આ ગેંગ 1,544 સાયબર ગુનામાં સક્રિય હતી. ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ આ નેટવર્ક દ્વારા મ્યૂલ એકાઉન્ટ્સ પૂરા પાડવામાં આવતા હતા. ઇન્વેસ્ટમેન્ટ સહિત વિવિધ પ્રકારના ઑનલાઇન ફ્રોડના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હતી. નાણાંની લેવડદેવડને 3થી 4 સ્તરમાં વહેંચીને ટ્રાન્ઝેક્શન કરવામાં આવતા હતાં, જેથી તપાસ એજન્સીઓ તેમના સુધી પહોંચી ન શકે. બેંક કર્મચારી કમિશન માટે ગેંગને સહાયતા કરતા સાયબર સેલની તપાસમાં 30થી વધુ ક્રિપ્ટો વોલેટ અને અનેક મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં બેંકિંગ સિસ્ટમનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો અને ઇન્ડસઇન્ડ બેંકના બે કર્મચારીએ કમિશનના આધારે આ ગેંગને સહાયતા કરી હતી. આરોપી અબુબકર, જે ઇન્ડસઇન્ડ બેંકનો કર્મચારી છે, તેને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. આ સમગ્ર ફ્રોડ ચેનનો મુખ્ય સૂત્રધાર દિવ્યરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલા હોવાનું બહાર આવ્યું છે. સાયબર સેલનું કહેવું છે કે, ફ્રોડ આચરતી આખી ચેનને ઝડપી પાડવામાં આવી છે અને આવનારા સમયમાં આવી પ્રકારની છેતરપિંડી સામે વધુ કડક પગલાં લેવામાં આવશે. સાયબર ટીમે સમગ્ર નેટવર્કને ટ્રેસ કરી આરોપીઓને ઝડપ્યાંઃ SPગુજરાત સ્ટેટ સાયબર સેલના SP ડો. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, રાજ્યમાં સાયબર સુરક્ષા મજબૂત બનાવવા માટે સતત મોનિટરિંગ અને ટેક્નિકલ વિશ્લેષણને વધુ શક્તિશાળી બનાવવામાં આવી રહ્યું છે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા ચાલતી વિશેષ ઝુંબેશ દરમિયાન આ સમગ્ર કાંડ બહાર આવ્યો છે. સાયબર ટીમે સમગ્ર નેટવર્કને ટ્રેસ કરીને 10 આરોપીને ભાવનગરથી ઝડપી પાડ્યા છે. અમારા તમામ પોર્ટલ અને જિલ્લાઓના સંપર્કથી એ જાણવાની કોશિશ કરી રહ્યા છીએ કે, અગાઉ આ આરોપીઓ પર કોઈ ગુનાઓ દાખલ થયેલા છે કે નહીં? અબુબકર અને પાર્થ બેંક ઇન્ડસઇન્ડ બેંકમાં જોબ કરતા હતા. ‘આરોપીએ 12 સુધીનો અભ્યાસ કરેલા’ડો. રાજદીપસિંહ ઝાલાએ વધુમાં ઉમેર્યું કે, બાકીના આરોપીઓ તમામનું શૈક્ષણિક બેકગ્રાઉન્ડ ધોરણ 12 સુધીનું છે. તમામનું ફેમિલી બેકગ્રાઉન્ડ મિડલ ક્લાસ અથવા લોઅર ક્લાસ છે. આમાં બે પ્રકારની ગેંગો કાર્યરત છે. જેમાં એક વિપુલ અને પ્રતિક પટેલ વાળી ગેંગ છે, એ છેલ્લા છ-સાત મહિનાથી આ ક્રાઇમ આચરતી હતી. જ્યારે દિવ્યરાજ જયરાજ વાળી જે ગેંગ છે, એ છેલ્લા ત્રણ મહિનાથી આ ક્રાઇમ આચરતી હતી.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 4:24 pm

પ્રદેશ ભાજપ પ્રમુખની રસ્તા બાબતે અધિકારીઓને ટકોર:મુખ્યમંત્રી કે AMC પૈસા આપી દે એટલે રસ્તો બનાવી ન દેવાનો હોય, એવું પ્લાનીંગ કરો કે 10 વર્ષ સુધી ખોદકામ ન કરવું પડે

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને અમદાવાદની નિકોલ વિધાનસભાના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માએ આજે 8 ડિસેમ્બરના રોજ તેમની વિધાનસભાના ઓઢવ અને ઇન્દ્રપુરી વિસ્તારમાં રૂ. 62 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ લોકાર્પણ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને ટકોર કરી હતી કે, આખા અમદાવાદ શહેરમાં જ્યાં પણ નવા રોડ બનાવો ત્યાં પહેલાથી પ્લાનિંગ કરો. ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર અને ઈલેક્ટ્રીકની લાઈન નાખવાની હોય તો પહેલાથી જ એવું પ્લાનિંગ કરો કે 10 વર્ષ સુધી કોઈ એક નાનું ત્રિકમ પણ ન મારે અને સ્થાનિક કોર્પોરેટરો તેમજ નાગરિકોની પણ આ જવાબદારી છે. રસ્તો બનાવતા પહેલા ગટર, સ્ટોર્મ વોટર, ઈલેક્ટ્રિક લાઈનના કામની તપાસ કરોગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ શહેરના ઓઢવ અને ઇન્દ્રપુરી વિસ્તારમાં નવી પાણીની ટાંકી, વેજીટેબલ માર્કેટ, ફાયર સ્ટેશન, સોસાયટીઓમાં આંતરિક રોડ અને વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવા સહિતના અલગ અલગ રૂ. 62 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ આજે કર્યા હતા. જગદીશ વિશ્વકર્માએ પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે, અમદાવાદ શહેરમાં તમામ મુખ્ય રોડ, સોસાયટીના 70:20:10 રોડ, આંતરિક રોડ અને વ્હાઈટ ટોપિંગ સહિતના તમામ રોડનું પહેલાથી જ પ્લાનિંગ કરવું જોઈએ. સ્થાનિક નાગરિકો, કોર્પોરેટરો અને અધિકારીઓની આ જવાબદારી છે. કોઈપણ રોડ બનાવો ત્યારે તેનું પહેલાથી જ પ્લાનિંગ કરી દો. રોડ બનાવતા પહેલાં ઈલેક્ટ્રીકનું કામ, ટેલીફોનનો વાયર નાખવાનું, ડ્રેનેજની સમસ્યા હોય કે સ્ટ્રોમ વોટરનું કામ હોય તમામ બાબતોની પહેલાથી ચકાસણી કરી લેવામાં આવે. ડ્રેનેજની લાઇન કેટલા સમય પહેલા નાખવામાં આવી સ્ટ્રોંગ વોટર લાઈન છે કે નહી અને તેનો ઢાળ છે કે નહીં વગેરે તપાસ કરી પછી રોડ બનાવો જોઈએ. રસ્તા બાબતે સ્થાનિક નાગરિકો અને કોર્પોરેટરો પણ ધ્યાન રાખેવધુમાં તેમણે અધિકારીઓને ટકોર કરી હતી કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્યના મુખ્યમંત્રી પૈસા આપે એટલે રોડ બનાવી નાખવાનો એવું ના હોય ભાઈ.. સ્થાનિક નાગરિકો, કોર્પોરેટરો અને અધિકારીઓએ તેમાં તકેદારી રાખવાની હોય છે. રોડ બનાવતા પહેલા તેનો એક અથવા બે વર્ષનો સર્વે કરવામાં આવે જેમાં ડ્રેનેજ કેટલી વખત ઉભરાય છે. સ્ટ્રોમ વોટરની ક્યાં સમસ્યા છે. રોડ બનતા પહેલા પણ ટોરેન્ટ પાવરમાં જાણ કરો કે અહીંયા રોડ બનવાનો છે જો તમારે ખોદકામ કરવાનું હોય તો અત્યારે જ કરી દો. પાછળથી પછી તેઓને એનઓસી આપવામાં આવતી નથી. દસ વર્ષ સુધી રસ્તો તોડવો ન પડે તેવું આયોજન કરોરોડ બનાવ્યા બાદ ઈલેક્ટ્રિક લાઈન અને ટેલીફોન વાયર નાખવાની સમસ્યા ઉદભવતી હોય છે ત્યારે અધિકારીઓને મારી ખાસ ટકોર છે કે આખા અમદાવાદ શહેરમાં જ્યાં પણ રોડ બનાવો ત્યાં પહેલાથી પ્લાનિંગ કરી દો કે આ રોડ બન્યો છે તો ત્યાં દસ વર્ષ સુધી એક પણ નાનું ત્રિકમ કોઈ મારે નહીં એવું પ્લાનિંગ કરતાં શીખો તો જ અમદાવાદના રોડની ક્વોલિટી સુધરશે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 4:22 pm

પંચમહાલના કણજીપાણી ગ્રામ પંચાયતમાં બોગસ લગ્ન નોંધણી મામલો:કણજીપાણીના તલાટી સહિત ત્રણ સામે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

પંચમહાલ જિલ્લાના કણજીપાણી ગ્રામ પંચાયતમાં બોગસ લગ્ન નોંધણી કરવાના મામલે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં કણજીપાણીના તલાટી-કમ-મંત્રી સહિત ત્રણ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સિદ્ધપુર તાલુકાના ખોલવાડા માધુપુરા ગામના અમૃતભાઈ બબાભાઈ પટેલની પુત્રી જયશ્રી 14 નવેમ્બર 2025ના રોજ બ્યુટી પાર્લરના ઓર્ડરમાં જવાનું કહીને ઘરેથી નીકળી હતી. તે સમયસર પરત ન ફરતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. જયશ્રી ન મળતા બીજા દિવસે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ 16 નવેમ્બર 2025ના રોજ વિજાપુર પોલીસ સ્ટેશન દ્વારા પરિવારને જાણ કરવામાં આવી કે જયશ્રીએ ઉનાવા ગામના ગૌસ્વામી કૌશિકગીરી બળદેવગિરી સાથે પ્રેમલગ્ન કર્યા છે. આ અંગેનું લગ્ન પ્રમાણપત્ર પણ રજૂ કરવામાં આવ્યું હતું. આ મામલે 18 નવેમ્બર 2025ના રોજ કણજીપાણી ગ્રામ પંચાયત ખાતે તપાસ કરવામાં આવી હતી અને લગ્નમાં ઉપયોગ થયેલા કાગળો મેળવવામાં આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું કે લગ્ન માટેના ચાર સ્ટેમ્પ ઊંઝા મામલતદાર કચેરીમાંથી ખરીદવામાં આવ્યા હતા અને 14 નવેમ્બર 2025ના રોજ સાંજે 4 વાગ્યે લગ્ન નોંધણી દર્શાવવામાં આવી હતી. જોકે, ઊંઝાથી કણજીપાણીનું અંતર આશરે 250 કિલોમીટર છે. સ્ટેમ્પ બપોરે અઢી વાગ્યા આસપાસ ખરીદવામાં આવ્યા હોવાથી, દોઢ કલાકના ગાળામાં આટલું લાંબુ અંતર કાપીને લગ્ન નોંધણી કરવી અશક્ય બને છે, જે ગંભીર વિસંગતતા દર્શાવે છે. આ વિસંગતતાઓને પગલે અમૃતભાઈ પટેલે ઊંઝા પોલીસ સ્ટેશનમાં કણજીપાણીના તલાટી-કમ-મંત્રી (તા. જાંબુઘોડા, જિ. પંચમહાલ), ગૌસ્વામી કૌશિકગીરી બળદેવગિરી (રહે. ઉનાવા, તા. ઊંઝા) અને જયશ્રીબેન અમૃતભાઈ પટેલ (રહે. માધુપુરા ખોલવાડા, તા. સિદ્ધપુર, જિ. પાટણ) સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 4:22 pm

ઝાલોદ બાર એસોસિએશનના તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા:પ્રમુખપદે આર. જી. રાવત ફરી ચૂંટાયા, ચૂંટણી પ્રક્રિયા સંપન્ન

ગુજરાત બાર એસોસિએશનના માર્ગદર્શન હેઠળ ઝાલોદ બાર એસોસિએશનના હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આ ચૂંટણીમાં તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, જેમાં આર. જી. રાવત ફરી એકવાર પ્રમુખ તરીકે ચૂંટાયા છે. વિવિધ હોદ્દાઓ માટે ફોર્મ ભરવામાં આવ્યા હતા, પરંતુ અન્ય કોઈ ઉમેદવારી ફોર્મ ન ભરાતા, સંગઠનની એકતા અને સર્વસંમતિ દર્શાવતા તમામ વકીલ સભ્યો બિનહરીફ વિજેતા બન્યા હતા. નવનિયુક્ત હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે આર. જી. રાવત, ઉપ-પ્રમુખ તરીકે બી. કે. ભૂરિયા, સેક્રેટરી (મંત્રી) તરીકે ડી. કે. નીનામા, વાઇસ સેક્રેટરી (સહમંત્રી) તરીકે એ. એમ. વસૈયા, મહિલા પ્રતિનિધિ તરીકે જે. વી. નિસરતા, વેલ્ફેર સેક્રેટરી તરીકે એચ. એચ. સોલંકી, લાઈબ્રેરીયન તરીકે એન. આર. ડામોર અને સહ-લાઈબ્રેરીયન તરીકે જી. સી. મછારનો સમાવેશ થાય છે. સમગ્ર પેનલની બિનહરીફ વરણી થતાં ઝાલોદ વકીલ મંડળના સભ્યોમાં હર્ષ અને આનંદની લાગણી છવાઈ ગઈ હતી. તમામ સભ્યો દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોને ઉત્સાહપૂર્વક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. નવનિયુક્ત પ્રમુખ આર. જી. રાવતની આગેવાની હેઠળ આ નવી ટીમ હવે વકીલોના કલ્યાણ, કાનૂની સેવાઓમાં સુધારો અને બાર એસોસિએશનને વધુ મજબૂત કરવાના લક્ષ્ય સાથે કાર્ય કરશે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 4:14 pm

દમણ દરિયા કિનારેથી દબાણો હટાવાયા:નોટિસ બાદ જરૂરી મંજૂરીઓ રજૂ ન કરતા પ્રશાસનું બુલડોઝર ફર્યું, દબાણકર્તાઓમાં ફફડાટ

દમણ સંઘપ્રદેશના દરિયા કિનારા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો અને નિયમ વિરુદ્ધના બાંધકામો પર પ્રશાસને મોટી કાર્યવાહી કરી છે. પરવાનગી વિના ઉભા કરાયેલા અનધિકૃત બાંધકામોને બુલડોઝરની મદદથી દૂર કરવામાં આવ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણકર્તાઓને અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી. નોટિસનો યોગ્ય જવાબ અને જરૂરી મંજૂરીઓ રજૂ ન કરાતા, પ્રશાસને આ કામગીરી હાથ ધરી હતી. આ અચાનક કાર્યવાહીથી દરિયાકાંઠા વિસ્તારના દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. લાંબા સમયથી દરિયા કિનારે વધતા ગેરકાયદેસર બાંધકામો અંગે મળતી ફરિયાદોને પગલે પ્રશાસને ખાસ દસ્તા સાથે સ્થળ પર પહોંચી કાર્યવાહી અમલમાં મૂકી હતી. પ્રશાસનના અધિકારીઓએ જણાવ્યું કે દરિયા કિનારે કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ અથવા નિયમ વિરુદ્ધ બાંધકામ સહન કરવામાં આવશે નહીં. આવનારા દિવસોમાં વધુ સ્થળોએ પણ તપાસ કરીને કડક પગલાં લેવામાં આવશે તેવી સૂચના આપીને પ્રશાસને સ્પષ્ટ સંદેશો આપ્યો છે. <

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 4:12 pm

દ્વારકામાં આખલાઓના ત્રાસને લઈને ગુજરાત હાઇકોર્ટમાં PIL:અરજદારે કહ્યું, દ્વારકાની શેરીઓમાં 2 હજાર આખલા, પર્યટકોને મારે છે, હાઇકોર્ટે નગર પાલિકા પાસે માંગ્યો જવાબ

ગુજરાત હાઇકોર્ટમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાથી વકીલ વિનોદચંદ્ર ઠાકરે એક જાહેર હિતની અરજી દાખલ કરી છે. જે મુજબ દ્વારકામાં જીવલેણ આખલાઓએ ઘણા બધા જીવ લીધા છે. દ્વારકા નગર પાલિકા આ સંદર્ભે કોઈ યોગ્ય કાર્યવાહી કરતી નથી. આંખલાઓને રાખવા માટે સ્પેશ્યલ જગ્યા ફાળવાઈ છે, પણ આખલાઓને ત્યાં રખાતા નથી. આ રખડું આખલા દ્વારકામાં આવતા પર્યટકો માટે ભયરૂપ સાબિત થયા છે. 'આખલાઓને પકડવા માટે સમયાંતરે ડ્રાઇવ કરવામાં આવે'દ્વારકા નગરપાલિકા વતી ઉપસ્થિત થયેલા સરકારી વકીલે જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા આખલાઓને પકડવા માટે સમયાંતરે ડ્રાઇવ કરવામાં આવે છે અને તેઓને ગૌશાળામાં પૂરવામાં આવે છે. ચેતન એન્ટ્રોરાઇઝને તેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જો કે અરજદારે કહ્યું હતું કે આ ફક્ત પેપર વર્ક છે, જમીન ઉપર કામ થતું નથી. હાઇકોર્ટે દ્વારકા નગર પાલિકાના ચીફ ઓફિસર પાસે માંગ્યો જવાબહાઇકોર્ટે પોતાના હુકમમાં નોંધ્યું હતું કે, અરજદારની અરજીમાં જણાવ્યા મુજબ 2 હજાર આખલા દ્વારકાની શેરીઓમાં રખડી રહ્યા છે. આ એક ધાર્મિક સ્થળ અને પર્યટન સ્થળ છે. જ્યાં અનેક લોકો આવતા હોય છે. અરજદારે પોતાની અરજીમાં જુદી જુદી ઘટનાઓ ટાંકી છે. ન્યૂઝ પેપરના કટીંગ મૂક્યા છે. આંખલાઓને કારણે લોકોના જીવ ગયા હોય તેવા સમાચાર અહેવાલો કોર્ટ સમક્ષ મુક્યા છે. ત્યારે દ્વારકા નગર પાલિકાના ચીફ ઓફિસર 2 અઠવાડિયામાં જવાબ આપે કે આંખલાઓનો ત્રાસ દૂર કરવા તેઓએ શું કર્યું ?

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 4:09 pm

રાજકોટમાં 26.66 કરોડનું ફ્રોડ કરનાર ગેંગ ઝડપાઈ:ઇન્વેસ્ટમેન્ટના નામે લોકોને છેતરતાં, ઇન્ડસ બેંકના કર્મચારી સહિત 6ને દબોચ્યા

રાજકોટમાં 26.66 કરોડની મહાઠગાઈ આચરનાર ગેંગને સાયબર ક્રાઈમ સેલ દ્વારા પકડી પાડવામાં આવી છે. આ મુદ્દે SP સાયબર ક્રાઈમ ડૉ. રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ વિશેષ તપાસ ચાલી રહી છે. 26 કરોડથી વધુની ઠગાઈ ફરિયાદી પાસેથી ઇન્વેસ્ટમેન્ટ પર મોટી કમાણીનું લાલચ બતાવી આ ગેંગે શરૂઆતમાં 500 ડોલર રોકાણ પર નફો દર્શાવ્યો, ત્યારબાદ વધારે કમિશનની લાલચ આપી કુલ ₹26 કરોડથી વધુની રકમ ઠગી લીધી હતી. ગેંગનું નેટવર્ક દેશભરમાં ફેલાયેલુંતપાસમાં ખુલ્યું છે કે આ ગેંગનું નેટવર્ક દેશભરમાં ફેલાયેલું હોવાની શક્યતા છે. અત્યાર સુધીમાં પોલીસે 6 આરોપીઓને ઝડપ્યા છે, જેમાં ઇન્ડસ બેંકનો એક કર્મચારી પણ સામેલ છે. મુખ્ય સૂત્રધારની ધરપકડઆ ઓપરેશનમાં મુખ્ય સૂત્રધાર ‘અમન’ નામના આરોપીની પણ અટકાયત કરવામાં આવી છે અને ગેંગે દેશમાં કેટલા ગુન્હા આચર્યા છે તેની વિગતવાર તપાસ ચાલુ છે. લાલચ આપી નિર્દોષ રોકાણકારોને ફસાવતાડૉ. ઝાલાના જણાવ્યા મુજબ, આ ગેંગ કમિશનની લાલચ આપી નિર્દોષ રોકાણકારોને પોતાની જાળમાં ફસાવતી હતી અને પછી કરોડો રૂપિયાની હેરાફેરી કરીને ગાયબ થઈ જતા હતા.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 4:02 pm

બોડેલીમાં ક્રેટામાંથી ₹4.39 લાખનો દારૂ ઝડપાયો:એક આરોપીની ધરપકડ, ₹12.44 લાખનો મુદ્દામાલ જપ્ત

બોડેલી પોલીસે ખાંડીયા ગામ પાસેથી એક ક્રેટા ગાડીમાંથી ₹4,39,524/- નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને કુલ ₹12,44,524/- નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે પી.આઇ. વિનોદ ગાવિતને બાતમી મળી હતી કે ખાંડીયા નજીકથી ક્રેટા ગાડીમાં વિદેશી દારૂ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન, બાતમી મુજબની GJ 06 LF 8788 નંબરની ક્રેટા ગાડી આવતા તેને રોકવામાં આવી હતી. ગાડીની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની કુલ 1812 બોટલ મળી આવી હતી, જેની કિંમત ₹4,39,524/- થાય છે. પોલીસે દારૂ અને ક્રેટા ગાડી સહિત કુલ ₹12,44,524/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં ગાડીના ચાલક વિષ્ણુ રાજૂ રાઠવા (રહે. મોટી સઢલી, તા.જી. છોટા ઉદેપુર) ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 3:58 pm

સુરતમાં 10 દિવસમાં 25 હજાર લોકોને 12.42 કરોડનો દંડ:ઓવરસ્પીડિંગના સૌથી વધુ 8,562 કેસ, લોક અદાલતમાં વધુ ટેબલો મૂકાશે

સુરત શહેરમાં ટ્રાફિકના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા 28 નવેમ્બરથી 7 ડિસેમ્બર દરમિયાન એક સઘન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવ દરમિયાન રોંગ સાઈડ ડ્રાઇવિંગ, હેલ્મેટ ન પહેરવું, ઓવરસ્પીડ અને સિગ્નલ ભંગ જેવા વિવિધ ટ્રાફિક કાયદાના ભંગ બદલ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. માત્ર 10 દિવસના ટૂંકા ગાળામાં ટ્રાફિક પોલીસે કુલ 24,847 ચલણ આપ્યા છે. આ કાર્યવાહીના પરિણામે વાહનચાલકો પાસેથી 12.42 કરોડથી પણ વધુ રકમનો દંડ આપ્યો છે, જેમાં ઓછામાં ઓછો દંડ 500 રાખવામાં આવ્યો છે. લોક અદાલતમાં વધુ ટેબલો મૂકવામાં આવશે. ટ્રાફિક નિયમ ભંગ બદલ 7,778 કેસ નોંધાયા વિવિધ નિયમોના ભંગના કેસની વિગતો તપાસીએ તો જાણવા મળે છે કે ઓવરસ્પીડિંગના સૌથી વધુ 8,562 કેસ નોંધાયા છે, જે કુલ કેસોમાં સૌથી મોટો હિસ્સો ધરાવે છે અને ઝડપ મર્યાદાના ભંગની ગંભીરતા દર્શાવે છે. આ ઉપરાંત, સિગ્નલ ભંગના 6,655 કેસ, રોંગ સાઈડ ડ્રાઇવિંગના 1,707 કેસ અને હેલ્મેટ ન પહેરવાના 145 કેસ કરવામાં આવ્યા છે. અન્ય વિવિધ ટ્રાફિક નિયમ ભંગ બદલ 7,778 કેસ નોંધાયા છે. આંકડા સ્પષ્ટ સંકેત આપે છે કે શહેરમાં ઓવરસ્પીડ અને સિગ્નલ જમ્પિંગની પ્રવૃત્તિ સૌથી વધુ જોવા મળી રહી છે, જે માર્ગ અકસ્માતોનું મુખ્ય કારણ બની શકે છે. હાલમાં, ટ્રાફિક પોલીસે બિનજરૂરી હોર્ન વગાડતા વાહનચાલકો સામે પણ લાલ આંખ કરી છે, જોકે હાલ તેમને સમજાવવામાં આવી રહ્યા છે, પરંતુ ટૂંક સમયમાં દંડ ફટકારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. વરાછા, કાપોદ્રા, સરથાણા સહિતનો વિસ્તારમાં સૌથી વધુ નિયમ ભંગના કેસચાર રિજિયનમાં કરવામાં આવેલી આ કાર્યવાહીમાં રિજિયન-1 (વરાછા, કાપોદ્રા, સરથાણા સહિતનો વિસ્તાર) સૌથી વધુ નિયમ ભંગના કેસ સાથે મોખરે છે. આ રિજિયનમાં 10 દિવસમાં 10,158 જેટલા ચલણ આપવામાં આવ્યા છે. રિજિયન-1 માં સૌથી વધારે રોંગ સાઈડમાં આવનાર વાહનચાલકો નોંધાયા છે, જેમની સંખ્યા 913 છે. આ ઉપરાંત, સિગ્નલ ભંગના 2,524 અને ઓવરસ્પીડના 4,614 જેટલા ચલણ પણ આ જ રિજિયનમાં ફટકારવામાં આવ્યા છે. ત્યારબાદ રિજિયન-3 નો નંબર આવે છે, જ્યાં 7,588 ચલણ આપવામાં આવ્યા છે. આ આંકડાઓ દર્શાવે છે કે શહેરના કયા વિસ્તારમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન વધુ થાય છે અને કયા ક્ષેત્રમાં જાગૃતિની વધુ જરૂર છે. ટ્રાફિક વ્યવસ્થાપન માટે એક મોટો પડકાર હેલ્મેટ ન પહેરવાના કેસની વાત કરીએ તો, કુલ 145 કેસમાંથી સૌથી વધુ 129 કેસ રિજિયન-3 માં નોંધાયા છે. તેની સરખામણીમાં, રિજિયન-1 માં માત્ર 3 અને રિજિયન-4 માં માત્ર 1 જ હેલ્મેટ વગરનો કેસ નોંધાયો છે. આ તફાવત સૂચવે છે કે રિજિયન-3 માં ટુ-વ્હીલર ચાલકોની સુરક્ષા અંગે ગંભીરતાનો અભાવ છે. રિજિયન-1 અને રિજિયન-3 માં નોંધાયેલા ઊંચા આંકડાઓ શહેરી ટ્રાફિક વ્યવસ્થાપન માટે એક મોટો પડકાર છે અને પોલીસને આ વિસ્તારોમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. 13મી ડિસેમ્બરના રોજ લોક અદાલતનું આયોજનટ્રાફિક ડીસીપી પન્ના મોમ્યાએ માહિતી આપી હતી કે, ચલણ ભરવામાં લોકોને કોઈ સમસ્યા ન થાય તે માટે 13મી ડિસેમ્બરના રોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. લોક અદાલતમાં વધુ ટેબલ લગાવવામાં આવશે જેથી લોકો સરળતાથી દંડ ભરી શકે. આ ઉપરાંત, ઓનલાઈન ચલણ ભરવાની વ્યવસ્થા પણ સહેલાઈથી ઉપલબ્ધ છે.ડીસીપીએ શહેરના તમામ નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને સહકાર આપવા માટે અપીલ કરી છે, જેથી માર્ગ અકસ્માતો ટાળી શકાય અને શહેરમાં સુચારુ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 3:55 pm

સુરતમાં બુટલેગર પર આરોપી 'વોન્ટેડ'નો તલવારથી હુમલો, VIDEO:સો.મીડિયામાં વીડિયો પોસ્ટ કરી લખ્યું- 'અપના બદલા પુરા હુઆ', પ્રેમિકા સામે માર મારવાની અદાવતમાં બદલો લીધો

સુરતમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. આ ઘટના ના વરાછા વિસ્તારમાં આવેલી એકતાનગર સોસાયટીમાં બની હતી. જેમાં 7 ડિસેમ્બરની રાત્રિના 11 વાગ્યે એક 'વોન્ટેડ' આરોપીએ તેના સાગરીતો સાથે મળી તલવાર અને લાકડાના દંડાઓ વડે એક બુટલેગર પર જીવલેણ હુમલો કર્યો હતો. ત્યાર બાદ વાહનમાં તોડફોડ પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આરોપીએ આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા એકાઉન્ટના સ્ટેટસમાં મૂકી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હતો અને લખ્યું હતું 'એકતાનગર અપના બદલા પુરા હુઆ દુઆ મેં યાદ રખના'. પ્રેમિકા સામે માર મારવાની અદાવતમાં બુટલેગર જીવલેણ હુમલોપ્રાપ્ત માહિતી અનુસાર વિજય રાઠોડ (બુટલેગર) અને આરોપી વિજય વોન્ટેડ વચ્ચે લાંબા સમયથી જૂની અદાવત અને ઘર્ષણ ચાલી રહ્યું હતું. આ અદાવતનું એક મુખ્ય કારણ એ હતું કે, ભૂતકાળમાં બુટલેગર વિજય રાઠોડે આરોપી વિજય વોન્ટેડને તેની પ્રેમિકા સામે માર માર્યો હતો. જેનો બદલો લેવા વિજય વોન્ટેડ ફરી રહ્યો હતો. ગત રાત્રિ વિજય વોન્ટેડ તેના કેટલાક સાગરીતો સાથે મળી બુટલેગર વિજય રાઠોડ પર તલવાર અને લાકડાના દંડા વડે જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીએ માર માર્યાનો વીડિયો સોશિયલ મીડિયા સ્ટેટ્સમાં મુક્યોઆ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બુટલેગર વિજય રાઠોડને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાનો સૌથી ચૌંકાવનારો ભાગ એ છે કે, આરોપી વિજય વોન્ટેડે માત્ર હુમલો નહોતો કર્યો પરંતુ માર મારતી વખતે વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયો તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટના સ્ટેટ્સમાં ખુલ્લેઆમ મુક્યો હતો. સોશિયલ મીડિયામાં સ્ટોરી પોસ્ટ કરી લખ્યું 'અપના બદલા પુરા હુઆ'આરોપી વિજય વોન્ટેડે હુમલા બાદ તેના સોશિયલ મીડિયામાં એક સ્ટોરી પણ પોસ્ટ કરી હતી. જેમાં તેણે સ્પષ્ટ લખ્યું હતું કે, 'એકતાનગર અપના બદલા પુરા હુઆ દુઆ મેં યાદ રખના'. આ જાહેરમાં કરવામાં આવેલા કૃત્યથી તેણ પોલીસને સીધો જ પડકાર ફેંક્યો હતો. જોકે, સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થતાં સુરત પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી છે અને આરોપી વિજય વોન્ટેડ તથા તેના સાગરીતોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. બંને આરોપીઓ સામે બે વખત પાસા હેઠળ કાર્યવાહી થઈ ચૂકીબંને આરોપીઓની ક્રિમિનલ હિસ્ટ્રી પણ ગંભરી છે. ઇજાગ્રસ્ત વિજય રાઠોડ દારૂના ધંધા સાથે સંકળાયેલો છે અને તેની સામે અગાઉ બે વખત પાસા (PASA) હેઠળ કાર્યવાહી પણ થઈ ચૂકી છે. આરોપી વિજય વોન્ટેડ તે પણ મારામારી સહિતના અનેક ગુનાઓમાં આરોપી છે અને તેની સામે પણ બે વખત પાસા (PASA) હેઠક કાર્યવાહી કરવામાં આવી છે. વરાછા પોલીસ સ્ટેશને આ મામલે ગુનો નોંધી આરોપી વિજય વોન્ટેડ અને તેના સાગરીતોની ધરપકડ કરવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જૂની અદવાતમાં ફરિયાદીના પતિને માર મારવામાં આવ્યો: DCPડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે, વરાછા પોલીસ સ્ટેશન હજ વિસ્તારમાં આવતી એકતાનગર ઝૂંપડપટ્ટીમાં રાત્રે 11 વાગ્યે એક મારામારીની ઘટના બની હતી. આ સંદર્ભમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હત્યાનો પ્રયાસ કલમ 109(1) BNS, 118(2), 115(2), 352, 324, 454 અને GP એક્ટ 135 હેઠળ ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદી દીપાલીબેન છે જેઓ વિજય રાઠોડના પત્ની છે. આરોપી જે વીડિયોમાં દેખાય છે તે વિજય ઉર્ફે વોન્ટેડ છે અને તેની સાથે અન્ય લોકો પણ છે. આ ઘટના તેમની વચ્ચે જૂની અદાવતને કારણે બની હતી. આ કેસમાં સહ આરોપીની અટકાયત કરી પૂછપરછ ચાલુ છેવધુમાં તેમણે જણાવ્યું હતું કે, આરોપી હાલમાં જ પાસામાંથી છૂટીને આવ્યો હતો. આરોપી વિજય ઉર્ફે વોન્ટેડ પર અનેક ગુનાઓ પણ છે. તેના પર અગાઉથી ઉતરાણ, વરાછા અને અમરોલીમાં ચાર ફરિયાદ નોંધાયેલી છે. ફરિયાદી દીપાલીબેનના પતિ વિજય રાઠોડ પર પણ બે વાર પાસા અને પ્રોહિબિશનના કુલ ચાર ગુના નોંધાયેલા છે. આ કેસમાં સહ આરોપીની અટકાયત કરી છે અને તેની પૂછપરછ કરી રહ્યા છીએ. તપાસમાં એ જાણવા મળશે કે આમાં બીજા કોણ સામેલ છે અને તલવારથી માર મારવાના વીડિયો પાઠળનું ખરેખર શું કારણ હતું તેની સંપૂર્ણ તપાસ અમે કરીશું.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 3:53 pm

જામનગર પોલીસનું વડોદરામાં ઓપરેશન:છેતરપિંડીના ગુનામાં 32 વર્ષથી પોલીસની આંખોમાં ધૂળ નાખતા કેતન પટેલને ઉઠાવ્યો

જામનગરમાં 32 વર્ષથી છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપી કેતન અંબાલાલ પટેલને પેરોલ ફર્લો સ્ક્વોડે વડોદરાથી ઝડપી પાડ્યો છે. આરોપી સામે જામનગર સીટી 'બી' પોલીસ સ્ટેશનમાં IPC કલમ 406 અને 420 હેઠળ ગુનો નોંધાયેલો હતો. જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીની સૂચના મુજબ, એલ.સી.બી.ના પી.આઈ. વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્ક્વોડના પી.એસ.આઈ. એમ.વી. ભાટિયા અને તેમની ટીમે નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરી હતી. આ ટીમ લાંબા સમયથી કેતન પટેલની તપાસ કરી રહી હતી, જે ગુનો બન્યા બાદ પરિવાર સાથે જામનગર છોડી ગયો હતો અને તેની કોઈ કડી મળતી ન હતી. કેસના કાગળોનો અભ્યાસ કરતા જાણવા મળ્યું કે આરોપી કેતન પટેલ તે સમયે કન્સ્ટ્રક્શનનો ધંધો કરતો હતો. તેણે ફરિયાદીને જામનગરમાં લવકુશ એપાર્ટમેન્ટમાં ફ્લેટ આપવાનું કહીને છેતરપિંડી કરી હતી. આ માહિતીના આધારે, પોલીસે ગુજરાતમાં લવકુશ નામની સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ્સ વિશે તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન, વડોદરાના વડસર ખાતે આવેલી લવકુશ સોસાયટી કેતન પટેલ નામના વ્યક્તિ દ્વારા બનાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું. ઊંડાણપૂર્વક તપાસ કરતા પુષ્ટિ થઈ કે આ જ કેતન પટેલ જામનગર સીટી 'બી' ડિવિઝનના ગુનાનો નાસતો ફરતો આરોપી હતો. ત્યારબાદ, હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ વર્કઆઉટ દ્વારા આરોપીને વડોદરા શહેર ખાતેથી પકડી પાડવામાં આવ્યો. આરોપીને વધુ કાર્યવાહી માટે સીટી 'બી' પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ કામગીરીમાં પી.એસ.આઈ. એમ.વી. ભાટિયા, એ.એસ.આઈ. ગોવિંદભાઈ ભરવાડ, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઈ નોયડા, સુરેશભાઈ ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહિપાલભાઈ સાદિયા, હાર્દિકભાઈ ભટ્ટ, પો.કોન્સ. દિલીપસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, એલ.સી.બી.ના હેડ કોન્સ. નિર્મળસિંહ જાડેજા અને પો.કોન્સ. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફે ભાગ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 3:43 pm

ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની લાંબા સમયથી ભરતી ન થતા રોષ:ભરતી પ્રક્રિયાને લઈ ઉમેદવારો પહોંચ્યા જેટકો ઓફિસ, પરીક્ષા નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

વડોદરામાં આવેલ જેટકો ઓફિસ ખાતે ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીને લઈને રાજ્યભરમાંથી ઉમેદવારો પોતાની માગ લઈને પહોંચ્યા હતા. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી ઉમેદવારો વડોદરા જેટકો ઓફિસ ખાતે પહોંચી ભરતી પ્રક્રિયાને લઈ થતા અન્યાય અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. તેઓની માંગ છે કે જેટકો દ્વારા ભરતી આઉટસોર્સથી કરી લેવામાં આવે છે જેથી ભરતી બહાર પાડવામાં આવતી નથી. ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી થાય તેવી ઉમેદવારોની માગવડોદરા ખાતે આવેલ જેટકો ઓફિસે પહોંચેલા ઉમેદવારોની માગ છે કે, છેલ્લા બે ત્રણ વર્ષથી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી કરવામાં આવી નથી. ભરતી ન કરી આઉટસોર્સથી ભરતી કરી દેવાઈ હોવાનો ઉમેદવારો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે આ ભરતી પ્રક્રિયા નહીં થાય તો કેટલાક ઉમેદવારો વર્ષ 2026 પછી વય મર્યાદાને પગલે ઉમેદવારી પણ નહીં કરી શકે જેથી ઝડપથી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી થાય તેવી ઉમેદવારો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. છેલ્લા બે ત્રણ વર્ષથી કોઈ પરીક્ષા લેવામાં આવી નથીઆ અંગે સુરતથી આવેલા દિવ્યેશ પટેલે જણાવ્યું છે કે, અમે આજે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છીએ. જેટકો દ્વારા છેલ્લા બે ત્રણ વર્ષથી કોઈ પરીક્ષા લેવામાં આવી નથી. જેથી અમારી માગ છે કે આ પરીક્ષા માટે તારીખ અને સમય અમને આપવામાં આવે અને રોજગાર આપે. અમારી માગ નહીં સંતોષાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું. વર્ષ 2023 પછી પરીક્ષા આવી નથી, આઉટસોર્સિંગ ભરતી બંધ કરોછેલ્લા બે વર્ષથી ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષા આવી નથી જેનો જવાબ લેવા માટે અમે આજે અહીંયા આવ્યા છીએ. જેટકોના અધિકારીને મળ્યા તો તેઓએ એમને બે મહિના પરીક્ષા લેવાની બાહેધરી આપી છે, પરંતુ અમને સમય અને તારીખ આપી નથી. છેલ્લા વર્ષ 2023 પછી પરીક્ષા આવી નથી. અમારી માંગ છે કે આઉટસોર્સિંગ ભરતી બંધ કરી અમારી પરીક્ષા લેવામાં આવે તેવી માંગ છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 3:40 pm