મનરેગા કૌભાંડને ઉજાગર કરનારા AAPના MLA ચૈતર વસાવાની લાફા પ્રકરણ કેસમાં ધરપકડ
AAP MLA Chaitar Vasava Arrested: આજે(5 જુલાઈ) લાફા પ્રકરણ કેસમાં ફરિયાદી સંજય વસાવાની એફઆઈઆરના આધારે દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવાની નર્મદા પોલીસે ધરપકડ કરી હતી. નર્મદા જિલ્લાના દેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના ATVT (આદિજાતિ વિકાસ કચેરી)ની સંકલન બેઠક દરમિયાન બની હોવાનું સામે આવ્યું છે. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ ચૈતર વસાવાને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા.
ઉદ્ધવ-રાજને તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિનનું સમર્થન, કહ્યું- 'હિન્દી થોપવા વિરૂદ્ધ એક થાઓ'
CM Stalin supports Uddhav-Raj Thackeray : તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ઉદ્વવ અને રાજ ઠાકરેનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, દ્રવિડ મુનેત્ર કડગમ (DMK) અને અહીંની જનતાએ પેઢીઓથી હિન્દી લાદવાને લઈને સંઘર્ષ કર્યો છે, હવે આ સંઘર્ષ રાજ્યની સીમાઓ વટાવીને મહારાષ્ટ્રમાં પણ એક મજબૂત વિરોધ તરીકે ઉભરી આવ્યો છે. મુખ્યમંત્રી સ્ટાલિને શું કહ્યું? સ્ટાલિને 'X' પર પોસ્ટ કરીને કહ્યું કે, 'ભાજપ એ શરત રાખે છે કે, તમિલનાડુમાં હિન્દી ત્રીજા ભાષા તરીકે ભણાવવામાં આવે, ત્યારે જ કેન્દ્ર સરકાર ફંડ આપશે. હવે બીજી વખત મહારાષ્ટ્રમાં જનતાના આક્રોશને લઈને ભાજપ પાછળ હટવા મજબૂર થઈ છે.
ક્યાં ગાયબ થઈ ગયા શી જિનપિંગ? ચીનની સત્તામાં ઉથલપાથલના એંધાણ, પાંચ નામ રેસમાં આગળ
XI Jinping Missing: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બે અઠવાડિયાથી જાહેર જીવનથી સંપૂર્ણ રીતે ગાયબ છે. ન કોઈ ભાષણ, ન કોઈ ફોટો અને ન કોઈ સત્તાવાર કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. હવે જ્યારે એ સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ બ્રાઝિલમાં થનારા BRICS સંમેલનમાં પણ ભાગ નહીં લે, જેને લઈને સવાલ એ થઈ રહ્યા છે કે શું ચીનમાં સત્તામાં કોઈ મોટો ફેરફાર થવાનો છે? શીની ગેરહાજરી અને ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના મૌને અટકળો તેજ કરી દીધી છે કે જો શી જિનપિંગની સત્તા હકીકતમાં નબળી પડી રહી છે, તો આગામી નેતા કોણ હશે? આવો જાણીએ તે નામ, જે હાલ બીજિંગના પાવર સર્કલમાં સૌથી વધુ ચર્ચામાં છે. લી ક્યાંગ: વડાપ્રધાન અને જિનપિંગના સૌથી ભરોસાપાત્ર
શહેરના માંજલપુરના ભાજપના કાઉન્સીલર કલ્પેશ પટેલ અને સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર વચ્ચે તેમની ઓફિસમાં હાઇ વોલ્ટેજ ડ્રામા સર્જાયા બાદ બંને એકબીજાને પગે લાગતા જોવા મળતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું. કલ્પેશ પટેલે પાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રિ-મોન્સૂન કામગીરી નિષ્ફળ રહી હોવાના આક્ષેપ સાથે જ નવા સિટી એન્જિનિયરની નિમણૂંક થવી જોઇએ એવી સ્પષ્ટ વાત મીડિયા સમક્ષ મૂકી હતી. શહેરમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતો હોવાથી તથા તળાવમાં ડ્રેનેજના પાણીનો નિકાલ કરાતો હોવા મામલે તેમણે ઉગ્ર સ્વરે રજૂઆત કરી હતી. મ્યુ. કમિશનર ન મળતા કોર્પોરેટર સિટી એન્જિનિયરની કેબિનમાં ગયામાંજલપુરના કંચન ભગત તળાવમાં ડ્રેનેજના પાણીનો નિકાલ તથા વિસ્તારમાં પ્રિ-મોન્સૂન કામગીરીની કોઇ અસર નહીં દેખાતા ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ ( જય રણછોડ ) કાર્યપાલક ઇજનેર અનુપ પ્રજાપતિને સાથે લઇ પાલિકાની કચેરીએ પહોંચ્યા હતા. પાલિકાની કચેરીએ પહોંચ્યા બાદ મ્યુનિસિપલ કમિશનર ન મળતા તે સિટી એન્જિનિયરની કેબિનમાં ગયા હતા. જ્યાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. તે બાદ સિટી એન્જિનિયર સહિત તમામ માંજલપુરના કંચનભગત તળાવ ખાતે પહોંચ્યા હતા. કાઉન્સિલરે ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા સિટી એન્જિનિયરે આક્રોશ ઠાલવ્યોઆ દરમિયાન સિટી એન્જિનિયર દ્વારા રૂપિયા 7 કરોડના ખર્ચે સમસ્યા ઉકેલાય તે માટેનું કામ સોંપી દેવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું તો કલ્પેશ પટેલ દ્વારા ભ્રષ્ટાચારનો આરોપ મુકવામાં આવ્યો હતો. જે બાદ બંને વચ્ચે વધુ એક વખત ઉગ્ર દલીલો થઇ હતી. જેમાં કાઉન્સિલરે ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવતા સિટી એન્જિનિયરે તું તા કરી આક્રોશ ઠાલવ્યો હતો. તંત્રના પાપે ભાજપ અને કોર્પોરેટરો બદનામ થાય છેસિટી એન્જિનિયરની કેબિનમાંથી બહાર આવેલા કલ્પેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ તંત્રના પાપે ભાજપ બદનામ થાય છે, અને કોર્પોરેટરો બદનામ થાય છે. જે તકલીફ છે, તે તંત્ર અને અધિકારીઓના પાપે છે. અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે આ તકલીફ પડી રહી છે. જે અધિકારીઓ કાગળ પર કામ કરે છે, પ્રિમોન્સૂન કામગીરી આખી કાગળ પર છે. સિટી એન્જિનિયરને ટેલિફોનિક વાત કરી હતી. તેમની પાસે સમય હોતો નથી. તેઓ ક્યારે સ્થળ પર આવતા નથી. કલ્પેશ પટેલની રજૂઆતને પગલે સિટી એન્જિનિયર સ્થળ ઉપર પહોંચ્યા હતા. જ્યાં કલ્પેશ પટેલે સ્થળ પરની કામગીરી દર્શાવી સિટી એન્જિનિયરના પગે પડતા સિટી એન્જિનિયર પણ તેમને પગે પડ્યા હતા. બંને એકબીજાના પગે પડતું દૃશ્ય જોઇને લોકોને તમાશાનું તેડું મળ્યું હતું. સિટી એન્જિનિયરે આક્ષેપોને ફગાવતા કહ્યું- મારી સામે કેસ કરવો હોય તો કરી શકોઘટનાસ્થળે ઉપસ્થિત માંજલપુર વિસ્તારના રહીશોએ પણ પાણી ભરાવાના પ્રશ્ને સિટી એન્જિનિયર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. સિટી એન્જિનિયરે માંજલપુરમાં રૂપિયા 7 કરોડના વિકાસના કામો ચાલતા હોવાની વાત કરતાં જ કલ્પેશ પટેલે આક્ષેપ કર્યો હતો કે, તમે કરોડોનો ભ્રષ્ટાચાર કરો છો. જેથી સિટી એન્જિનિયરે આક્ષેપોને ફગાવી દેતા કલ્પેશ પટેલે કહ્યું હતું કે, તમારે મારી સામે કેસ કરવો હોય તો કરી શકો છો. જોકે, મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને રહીશો સાથે કલ્પેશ પટેલ સિટી એન્જિનિયરને લઇ વડસર જ્યાં ગયા વર્ષે વિશ્વામિત્રીનું વિનાશક પૂર આવ્યું હતું તે સ્થળે લઇ ગયા હતા. સિટી એન્જિનિયર અને કલ્પેશ પટેલ વચ્ચેનો આ હાઇવોલ્ટેજ ડ્રામાને કારણે માંજલપુર સહિત શહેરમાં ચકચાર મચી ગઇ હતી. તે સાથે શહેર ભાજપામાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો. આગામી દિવસોમાં આ ઘટના ઉગ્ર સ્વરૂપ ધારણ કરે એવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
ગુજરાત શિક્ષણ વિભાગ હસ્તકની સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-2024 અન્વયે 5 જુલાઈ, 2025ના રોજ પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ-2 (PML-2) જાહેર કરેલ છે. PML-2માં સમાવિષ્ટ ઉમેદવારો 5 જુલાઈથી 7 જુલાઈ, 2025ના રોજ રાત્રે 11.59 કલાક સુધી કુલ 1344 ખાલી જગ્યાઓ પર શાળા પસંદગી આપી શકશે. જે અન્વયે વિગતવાર સૂચનાઓ વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ-2 (PML-2)માં સમાવિષ્ટ ઉમેદવારોએ નિયત સમયમર્યાદામાં મહત્તમ શાળાઓની પસંદગી આપવી હિતાવહ છે. સમયમર્યાદામાં ઓનલાઈન પસંદગી ન આપનાર તથા ઓછી પસંદગી આપવાના કારણે ઉમેદવાર ભરતી પ્રક્રિયામાંથી બાકાત થશે તો તે અંગેની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારની રહેશે, તેવુ ગુજરાત રાજ્ય શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિએ જણાવ્યું છે.
રાજકોટ શહેરમાં અકસ્માતના જુદા જુદા બે બનાવમાં બે લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં કાલાવડ રોડ પર ટ્રકે હડફેટે લેતા વૃદ્ધાનું મોત નીપજ્યું છે. જ્યારે બીજા બનાવમાં કોઠારીયા રોડ પર રીક્ષાની ઠોકરે ઘવાયેલ પ્રૌઢે સારવારમાં દમ તોડી દેતા મોત નીયજ્યું છે. વૃદ્ધા શાંતાબેનના અકસ્માત મૃત્યુ અંગે તેમના પુત્ર અશોકભાઈ દાનાભાઈ રાઠોડ (ઉ.વ.38)એ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, મારી માતા શાંતાબેન દાનાભાઇ રાઠોડ (ઉ.વ.64) છે અને પિતાનું 40 વર્ષ પહેલાં અવસાન પામ્યા છે. ગઈ તા.2.7.2025ના રોજ મારી માતા મારા બહેન રંજનબેન જે કાલાવડ પાસે આવેલ હરિપર ગામે સાસરે છે, ત્યાં આટો મારવા ગયેલ હતા. રોડ ક્રોસ કરતા વૃદ્ધાને પાણીના ટેન્કર ટક્કર મારીતા.3.7.2025ના રોજ હું મારા ઘરે હતો ત્યારે મને 10.30 વાગ્યાની આસપાસ ભગવાનજીભાઈ જેમને હું અગાઉ મારી સાથે કામ કરતા એ રીતે ઓળખું છું. તેમનો ફોન આવ્યો અને વાત કરી કે તમારા માતાનું એક્સિડન્ટ થયેલ છે. હું તેમને સરકારી હોસ્પિટલ સારવારમાં લાવેલ છું. હું હોસ્પિટલ ગયો ત્યારે જાણવા મળ્યું કે, પાણીનું ટેન્કર નંબર જીજે.10.એક્સ.6672 રમેશભાઈ ચલાવતા હતા. એ.જી.ચોક પાસે સવારના 9 વાગ્યાની આસપાસ શાંતાબેન રોડ ક્રોસ કરતા હતા ત્યારે આ ટેન્કર વાહન સાથે અથડાતા ટેન્કરનું વ્હીલ ડાબા પગના સાથળના ભાગે આવી જતા સાથળના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. સારવાર દરમિયાન મોત થતા રાજકોટ તાલુકા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આધેડનું રિક્ષાની ટક્કર બાદ મોતજ્યારે બીજા બનાવમાં અલ્પેશભાઈ અમૃતલાલ સિદ્ધપુરા (ઉં.વ.50) તારીખ 01.07.2025ના રોજ સવારે 7.30 વાગ્યા આસપાસ પોતે સાઇકલ લઈને જતા હતા ત્યારે હુડકો પોલીસ ચોકી પાસે ન્યારાના પેટ્રોલ પંપ સામે અજાણ્યા રિક્ષા ચાલકે ઠોકરે લેતા માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ઇજા પહોંચી હતી તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા જેનું સારવાર દરમિયાન તારીખ 04.07.2025ના રોજ રાત્રે 10 વાગ્યે મોત નીપજ્યું હતું. અલ્પેશભાઈ અપરણી હતા તથા તેઓ મજૂરી કામ કરતા હતા. પોલીસે રિક્ષાચાલક સામે ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.
રાજકોટ શહેરમાં વધુ એક યુવાન સાયબર ફ્રોડનો શિકાર બન્યો છે. એડવર્ટાઈઝિંગના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાને ડેટિંગ એપ પર શ્રુતિ શર્મા નામની આઈડી પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી બાદમાં ચેટિંગ કરી એક બીજાએ વાતચીત શરૂ કરતા સાયબર ફ્રોડ આચરનાર શખસ દ્વારા તેની આર્થિક સ્થિતિ વિષે માહિતી મેળવી બાદમાં ફોરેક્ષમાં સારું રિટર્ન મળશે કહી ટેલિગ્રામ મારફત લઈ મોકલી એકાઉન્ટ ઓપન કરી યુવાનના 13.30 લાખ ઓળવી જઈ છેતરપિંડી આચરતા યુવાને સાયબર ફ્રોડનો શિકાર બન્યાની જાણ થતા અંતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શ્રુતિ શર્માનું એકાઉન્ટ દેખાતા તેને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતીરાજકોટના કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે શિવધામ સોસાયટી શેરી નં.2માં રહેતાં અને એડવર્ટાઈઝિંગનો વ્યવસાય કરતા રવિ જગદિશભાઈ વીરપરીયા (ઉ.વ.36)એ સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે રંગલો ક્રિએશન નામે એડવર્ટાઈઝિંગનું કામ કરે છે. ગત ફેબ્રુઆરી મહિનામાં બમ્પી નામની ડેટિંગ એપ પર એકાઉન્ટ બનાવ્યું હતું જેના ફ્રેન્ડ સજેશનમાં શ્રુતિ શર્માનું એકાઉન્ટ દેખાતા તેને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. ઓનલાઈન ફ્રેન્ડ બન્યા બાદ તેની સાથે વાતચીત શરૂ કરી હતી અને બન્નેએ એક-બીજાનું આર્થિક બેકગ્રાઉન્ડ જાણ્યું હતું. ડેટિંગ એપ ઉપર ટેલિગ્રામની લિંક મોકલી હતીદરમિયાન યુવકે જણાવ્યું હતું કે, તેની આર્થિક સ્થિતિ ખરાબ છે અને પૈસાની જરૂરિયાત છે. જેથી સામે શ્રુતિ શર્મા નામ ધારણ કરનારે ફોરેક્ષ ટ્રેડીંગમાં સારૂ રિર્ટન મળે છે તેમ કહી તેમાં રોકાણ કરવાનું કહ્યું હતું, જેમાં તેણે રસ દાખવતા ડેટિંગ એપ ઉપર ટેલિગ્રામની લિંક મોકલી હતી અને બાદમાં એક એકાઉન્ટ પણ ખોલી આપ્યું હતું. તેની સુચના મુજબ તેણે તેની પેઢી અને મિત્રના બેંક એકાઉન્ટમાંથી કટકે-કટકે 13.30 લાખ જમા કરાવ્યા હતા. જોકે, બાદમાં તેને રકમ પરત નહીં મળતાં અને જે ડેટિંગ એપ ઉપર શ્રુતિ શર્માનું એકાઉન્ટ હતું તે પણ ગાયબ થઈ જતાં છેતરાઈ ગયાનો અહેસાસ થતા સાયબર ક્રાઈમના હેલ્પ લાઈન નંબર ઉપર ફરિયાદ કરી હતી. જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરીઉલ્લેખનીય છે કે, ટોપલેન એન્ટરપ્રાઇઝ, જેનિથ લોજીસ્ટિક, બી એન્ડ બી સન્સ તેમજ લકાશ એન્ટરપ્રાઇઝ નામની પેઢીના ચાર બેંક ખાતામાં ઠગાઈની રકમ જમા થઈ હોવાનું સામે આવતા તેના ધારકો સામે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહીસાગર જિલ્લાની લુણાવાડા નગરપાલિકામાં આજે કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ગરમાગરમી જોવા મળી હતી. વિકાસના મુદ્દે રજૂઆત કરવા આવેલા કોંગ્રેસના પ્રતિનિધિમંડળ અને પાલિકા પ્રમુખ વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ પટેલ અને ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ સહિતનું પ્રતિનિધિમંડળ પાલિકા ખાતે પહોંચ્યું હતું. કોંગ્રેસે બે દિવસ અગાઉ જાહેરાત કરી હતી કે પાલિકામાં વિકાસ ન થવા અને કોંગ્રેસના સભ્યોની અવગણના થવાના મુદ્દે રજૂઆત કરશે. પરંતુ કોંગ્રેસના પ્રતિનિધિઓ પહોંચે તે પહેલાં જ નગરપાલિકા પ્રમુખ ડૉ. કીર્તિ પટેલ અને તેમના સમર્થકો, નેતાઓએ કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. 'કોંગ્રેસ હાય હાય', 'જય શ્રી રામ' અને 'ભારત માતા કી જય'ના નારા લગાવવામાં આવ્યા હતા. વિવાદ ત્યારે વધુ ઉગ્ર બન્યો જ્યારે નગરપાલિકા પ્રમુખે કોંગ્રેસ પર બુટલેગરોને બચાવવાનો આક્ષેપ કર્યો. જવાબમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખે સ્પષ્ટતા કરી કે તેઓ બુટલેગરો અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવું જણાવ્યું.
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે આજે (5 જુલાઈ) સુરતના માન દરવાજા ખાતે 1312 ટેનામેન્ટ, ફાયર સ્ટેશન, નગર પ્રાથમિક શાળા અને આંગણવાડી સહિતના નવીનીકરણના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. રાજ્ય સરકારની જાહેર આવાસોના પુન:વિકાસ યોજના 2016 હેઠળ આશરે 200 કરોડના ખર્ચે ટેનામેન્ટનું રિડેવલપમેન્ટ કરવામાં આવશે. આ પ્રસંગે સી.આર. પાટીલે નવું ઘર મેળવનારા તમામ પરિવારોને અભિનંદ પાઠવ્યા હતા. આ ઉપરાંત સી.આર પાટીલે SMC સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ખાતે 11.44 કરોડના ખર્ચે કોટક મહિન્દ્રા બેંક લિ. દ્વારા CSR હેઠળ ફાળવવામાં આવેલા 128 સ્લાઈસ સિટી સ્કેન મશીન અને 1.5 ટેસ્લા મશીન સહિતની અધ્યતન સુવિધાઓનું લોકાર્પણ કર્યું હતું. લકવો, માઇગ્રેન, ખેંચ, ટ્યુમર વગેરેનું સચોટ નિદાન કરે છે128 સ્લાઇસ સિટી સ્કેન મશીન ખૂબ જ ઓછા સમયમાં શરીરનું સંપૂર્ણ સ્કેન કરી શકે છે. જે ઇમરજન્સી કેસોમાં અત્યંત ઉપયોગી છે અને કાર્ડિયાક સ્કેનિંગ તથા કોરોનરી આર્ટરીનું સિટી સ્કેન પણ કરી શકે છે. આ મશીન ફાસ્ટ સ્કેનિંગને કારણે ઓછું રેડિયેશન બહાર પાડે છે. જે બાળકો માટે આશીર્વાદરૂપ છે. બીજી તરફ 1.5 ટેસ્લા MRI મશીન મજગ અને કરોડરજ્જુની સમસ્યાઓ જેવી કે, લકવો, માઇગ્રેન, ખેંચ, ટ્યુમર વગેરેનું સચોટ નિદાન કરે છે. આ મશીન ક્ષ-કિરણોનો ઉપયોગ ન કરતું હોવાથી ગર્ભવતી મહિલાઓ અને બાળકો માટે સુરક્ષિત છે. સ્મીમેર હોસ્પિટલમાં દૈનિક આશરે 20થી 25 સિટી સ્કેન અને 20થી 25 MRI કરવામાં આવે છે. આ અધતન મશીનોથી રેડિયોલોજી વિભાગના પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓને પણ અભ્યાસનો લાભ મળશે અને સfટી ગાઈડેડ બાયોપ્સીની પ્રક્રિયાઓ પણ તેઓ ઝડપથી શીખી શકશે. દરેક પરિવારને દર મહિને 7000નું ભાડું મળશેસી.આર. પાટીલે જણાવ્યું હતું કે, માન દરવાજા ટેનામેન્ટના નવીનીકરણથી અનેક પરિવારોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે. હાલના કરતા 40 ટકા વધારાની જગ્યા સાથે તૈયાર થનારું સપનાનું નવું ઘર ટેનામેન્ટના પરિવારો માટે બમણી ખુશી લાવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આશરે દોઢથી બે વર્ષમાં જ અનેક પરિવારોનું નવા ઘરનું સ્વપ્ન સાકારિત થશે. આ ઉપરાંત, દરેક પરિવારને દર મહિને 7000નું ભાડું મળશે, જે તેમને આર્થિક પીઠબળ પૂરું પાડશે. તેમણે ઉમેર્યું હતું કે, અનેક સુવિધાઓ સાથેનું નવું મકાન ભવિષ્યમાં લાંબા સમય સુધી મજબૂત રહે તે રીતે તૈયાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ રહેણાંક ટેનામેન્ટના રિડેવલપમેન્ટ ઉપરાંત, 117 દુકાનો ધરાવતું શોપિંગ સેન્ટર, 40 સ્ટાફ ક્વાર્ટર્સ અને 2 ઓફિસ સહિતનું ફાયર સ્ટેશન પણ તૈયાર કરવામાં આવશે. આધુનિક સુવિધાઓથી સજ્જ ઘરોનું નિર્માણ થશેધારાસભ્ય સંગીતા પાટિલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ઘણા વર્ષોથી મુશ્કેલી ભોગવી રહેલા પરિવારોની સમસ્યાનો અંત આવ્યો છે. તેમણે સરકાર અને સ્થાનિક પ્રશાસનના અથાગ પ્રયત્નોને આ પ્રોજેક્ટ માટે શ્રેય આપ્યો હતો, જે અંતર્ગત મોટું ઘર, શોપિંગ સેન્ટર, શાળા, આંગણવાડી, સોલાર લાઇટ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, ગાર્ડન, ડ્રેનેજ સુવિધા સહિતની આધુનિક સુવિધાઓથી સજ્જ ઘરોનું નિર્માણ થશે.
મોરબીના રવાપર ગામના માજી સરપંચના પતિ સંજયભાઈ અઘારા પર આજે બપોરના સમયે રફાળેશ્વર ગામ પાસે આવેલા તેમના કારખાને હુમલો થયો હતો. ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરવા આવેલા બે શખ્સોએ સંજયભાઈને ગાળો ભાંડી માર માર્યો હતો અને તેમનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના કારખાનામાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. ઈજાગ્રસ્ત સંજયભાઈને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણ કરવામાં આવી છે. હાલમાં ફરિયાદ નોંધાઈ નથી - પીઆઈ એસ. કે. ચારેલમોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ. કે. ચારેલ સાથે ટેલિફોનિક વાતચીત કરતાં તેને જણાવ્યું હતું કે, બનાવની જાણ થતાં અમારી ટીમ હોસ્પિટલ ગઈ હતી, જેમાં આ મામલે ભોગ બનનાર સંજય અઘારા દ્વારા હાલમાં ફરિયાદ નોંધાવેલ નથી. બંને શખ્સોએ ગાડી પાસે બોલાવ્યા પ્રાપ્ત માહિતી અનુસાર, રવાપર ગામના માજી સરપંચના પતિ સંજયભાઈ અઘારા આજે બપોરના લગભગ 2:00 વાગ્યાના અરસામાં રફાળેશ્વર ગામ નજીક આવેલા તેમના કારખાને હતા. કારખાનામાં રોજિંદા કામકાજ ચાલી રહ્યું હતું ત્યારે સામતભાઈ અને ભાવેશભાઈ નામના બે વ્યક્તિઓ ત્યાં આવ્યા હતા. આ બંને શખ્સોએ સંજયભાઈને કારખાનાની બહાર પાર્ક કરેલી તેમની ગાડી પાસે બોલાવ્યા હતા. ઉઘરાણી માટે આવેલા શખ્સો ઉશ્કેરાયાજ્યારે સંજયભાઈ ગાડી પાસે પહોંચ્યા, ત્યારે ઉઘરાણી માટે આવેલા આ શખ્સોએ તેમને અગાઉ ઉછીના લીધેલા પૈસાની માગણી કરી હતી. સંજયભાઈએ હાલમાં પૈસાની સગવડ ન હોવાનું અને પછી આપશે તેમ જણાવ્યું હતું. આ સાંભળતા જ ઉઘરાણી માટે આવેલા સામતભાઈ અને ભાવેશભાઈ ઉશ્કેરાઈ ગયા હતા. ગાળો ભાંડીને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કર્યોઉશ્કેરાયેલા આ શખ્સોએ સંજયભાઈ અઘારાને ગાળો ભાંડી હતી અને તેમને માર મારવાનું શરૂ કર્યું હતું. માર માર્યા બાદ, તેમણે સંજયભાઈને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડીને તેમનું અપહરણ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. CCTV કેમેરામાં સમગ્ર ઘટના કેદ આ સમગ્ર ઘટના સંજયભાઈના કારખાનામાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં સંપૂર્ણપણે કેદ થઈ ગઈ છે. CCTV ફૂટેજમાં હુમલો કરનારા શખ્સોની ઓળખ અને તેમની કૃતિઓ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. સંજય અઘારાને ઈજા, સારવાર હેઠળમારામારી અને અપહરણના પ્રયાસની આ ઘટનામાં સંજયભાઈ અઘારાને ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની તબીબી સારવાર ચાલી રહી છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. જેમાં બનાવની જાણ થતાં પોલીસ ટીમ હોસ્પિટલ ગઈ હતી, જેમાં આ મામલે ભોગ બનનાર સંજય અઘારા દ્વારા હાલમાં ફરિયાદ નોંધાવેલ નથી.
આરોપી અને પીડિતા પરસ્પર સંબંધમાં હોવાનું નોંધી હાઇકોર્ટે દુષ્કર્મ કેસમાં આરોપીને નિર્દોષ છોડવાનો નિર્યણ માન્ય રાખ્યો છે અને સમગ્ર મામલાને સંમતિનો કેસ ઠરાવ્યો છે. ગુજરાત હાઈકોર્ટ IPCની કલમ 376 અને 506(2) અને IT એક્ટની કલમ 67 હેઠળના કેસમાં 21 વર્ષના આરોપીને નિર્દોષ જાહેર કરવાના નિર્ણયને પડકારતી રાજ્ય સરકાર દ્વારા દાખલ કરાયેલી અપીલમાં હાઇકોર્ટે ઉપરોક્ત આદેશ કર્યો છે. 21 વર્ષીય યુવકને નિર્દોષ જાહેર કરવાના આદેશને યથાવત રાખ્યો હાઈકોર્ટે 20 વર્ષની યુવતી ઉપર દુષ્કર્મના આરોપી 21 વર્ષીય યુવકને નિર્દોષ જાહેર કરવાના આદેશને યથાવત રાખ્યો છે. કારણ કે તેમણે નોંધ્યું હતું કે, બંને સંબંધમાં હતા અને તે સ્પષ્ટ રીતે સંમતિનો કેસ હતો. હાઇકોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે, રેકર્ડ પરના પુરાવાઓ અને તેના પુનઃમૂલ્યાંકન પર કોર્ટ એવું મક્કમ પણે માને છે કે આરોપી અને પીડિતા બંનેનો એકબીજા સાથે પ્રેમ સંબંધમાં હતો. જે ફોટોગ્રાફ્સ પરથી સ્પષ્ટ થાય છે અને જો બંને વચ્ચે કોઈ શારીરિક સંબંધો બંધાયા હોય તો તે સંમતિથી બંધાયેલા સંબંધો હતા. જે પીડિતાની સ્પષ્ટ સંમતિથી થયો હતો અને આરોપી દ્વારા કોઈ દુષ્કર્મ કે ગુનાહિત ધાકધમકીનો ગુનો કરવામાં આવ્યો ન હતો. શરીર સંબંધ બાંધતી વખતે પીડિતાએ કોઇ પ્રતિકાર નહોતો કર્યોઆરોપી દ્વારા રેકોર્ડ કરાયેલો વીડિયો જપ્ત કરવામાં આવ્યો નથી અને રેકોર્ડ પર ઉપલબ્ધ નથી. તેથી IT એક્ટની કલમ 67 હેઠળનો ગુનો પણ સાબિત થતો નથી. હાઇકોર્ટે એમ પણ નોંધ્યું હતું કે ઉક્ત બાબતો સૂચવે છે કે જ્યારે શરીર સંબંધ બાંધતી વખતે પીડિતાએ કોઇ પ્રતિકાર નહોતો કર્યો. આ પરિસ્થિતિ સ્પષ્ટ અને મક્કમતાથી સાબિત કરે છે કે તેણે સ્વેચ્છાએ આરોપીને સાથ આપ્યો હતો અને જો બંને વચ્ચે કોઈ જાતીય સંભોગ થયો હોય તો તે બંને વચ્ચે સંમતિથી જાતીય સંભોગ હતો. પીડિતા સ્વેચ્છાએ આરોપી સાથે ટેરેસ પર ગઈ હતીકોર્ટે વધુમાં પુરાવાઓનું અવલોકન કરતાં નોંધ્યું હતું કે, પીડિતા સ્વેચ્છાએ આરોપી સાથે ટેરેસ પર ગઈ હતી. એ કહેવું અવિશ્વસનીય છે કે આરોપી તેણીને બળજબરીથી બજારમાં આવેલા કોમ્પ્લેક્સના ટેરેસ પર લઈ ગયો હતો અને તે પણ દિવસના સમયે સવારે 9:30 વાગ્યે. તેથી તે સ્પષ્ટપણે સૂચવે છે અને સાબિત કરે છે કે પીડિતા સ્વેચ્છાએ આરોપી સાથે દિવસના સમયે આ કોમ્પ્લેક્સના ટેરેસ પર ગઈ હતી. તેના શરીર પર કોઈ ઈજા મળી નહોતી કે મેડિકલ રિપોર્ટમાં રેપના કોઈ નિશાનનો ઉલ્લેખ નહોતો. બંને એકબીજાને ઓળખતા હતા કારણ કે તેઓ એક જ વિસ્તારમાં રહેતા હતા. FIR નોંધાવવામાં પણ અતિશય વિલંબ થયો હતો.
વેરાવળમાં મોહરમ તહેવાર નિમિત્તે પોલીસે ડ્રોન કેમેરા દ્વારા વિશેષ સર્વેલન્સની વ્યવસ્થા કરી છે. જુનાગઢ રેન્જ આઈજીપી નિલેશ જાજડીયા, ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગારના માર્ગદર્શન હેઠળ આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એચ.આર.ગૌસ્વામી અને તેમની ટીમે શહેરના તમામ તાજીયા રૂટ પર નજર રાખી રહી છે. સોમનાથ ટોકીઝ વિસ્તાર, હુસેનીચોક, અલીભાઇ કોલોની, 80 ફૂટ રેલ્વે ફાટક, રેલ્વે સ્ટેશન, રામભરોસા ચોક, ટાવરચોક, મફતીયાપરા, આરબચોક અને ગાંધીચોક સહિતના ભીડભાડવાળા વિસ્તારોમાં ખાસ નિગરાની રાખવામાં આવી રહી છે. પોલીસે તાજીયા સંચાલકો અને આગેવાનોને વીજળીના તાર અને કેબલ્સથી સાવચેત રહેવા સૂચના આપી છે. તાજીયા જુલુસ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર બંદોબસ્ત દરમિયાન પોલીસ ડ્રોન કેમેરા દ્વારા સતત નિગરાની રાખશે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
બૂટલેગરો સામે SMCના સપાટા બાદ વડોદરા શહેર પોલીસે પણ ગાળિયો કસ્યો છે. કુખ્યાત અલ્યુ સિંધી, જુબેર મેમણ, રવિ સિંધી અને પપ્પુ ડાવર સહિત આઠ સામે વારસીયા પોલીસે GUJCTOC (ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ) હેઠળ ગુનો નોંધ્યો છે. આ કેસમાં આજે આરોપી હરીશ ઊર્ફે હરી સિંધીની રેગ્યુલર જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે. જેમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર રઘુવીર પંડ્યાએ દલીલો કરી હતી. હરી સામે 27 ગુના નોંધાયેલા છે. અલ્પુ સિંધી સહિત કુખ્યાત ગેંગે દારૂની કમાણીના હિસાબને લઈ બૂટલેગર હેરી સિંધીની હત્યાનો પ્રયાસ કરી ગેંગ વોર થઇ હતી. ગેંગ મોટાપાયે દારૂનું વેચાણ કરી કરોડો કમાતી હતી અને શહેરમાં ભય ઉભો કર્યો હતો. આ ગેંગ હથિયાર, બોગસ દસ્તાવેજથી જમીન, ખંડણી જેવા ગુના કરી જેલમાં ગયા બાદ જામીન મેળવી પરત ગંભીર ગુના આચરતી હતી. તાજેતરમાં અલ્યુ ગેંગ સહિતનો દારૂના હિસાબને લઈ ગેંગ વોર થઇ હતી. ફતેગંજ બ્રિજ પર એપ્રીલ મહિનામાં કુખ્યાત બૂટલેગર અલ્યુ સિંધી સહિતના સાગરીતે બૂટલેગર હેરી લુધવાણીની હત્યાનો પ્રયાસ કર્યો હતો. શહેરના માર્ગો ઉપર બૂટલેગરોએ હથિયારો લઈ પીછો કર્યો હતો. દારૂની કમાણીના હિસાબને લઈ ગેંગ વોરમાં પોલીસની આબરૂના ધજાગરા ઉડાવ્યા હતા. જેમાં રવિ દેવજાની સામે ગુનો નોંધાયો હતો. નોંધનીય છે કે, શહેર પોલીસે સંગઠિત ગેંગ સામે ગાળિયો કસ્યો હોવાનો આ ચોથો કિસ્સો છે. જેમાં સૌથી પહેલાં પોલીસે બિચ્છુ ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ ખંડણી, લૂંટ, રાયોટિંગ કરતી કાસમઆલા ગેંગ સામે ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ ચોરીઓ કરતી સિક્લીગર ગેંગ સામે ગુજસીટોક નોંધ્યો હતો. જ્યારે દારૂના ગુનામાં ગુનો નોંધ્યો હતો. તાજેતરમાં એસએમસીએ નિલુ સિંધી ગેંગ સામે ગુનો નોંધ્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની કલેક્ટર કચેરીમાં કરાર આધારિત કાયદા સલાહકારની એક જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ નિમણૂક 11 માસની મુદત માટે કરવામાં આવશે. ઉમેદવારની વય 50 વર્ષથી ઓછી હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાતમાં કાયદાની ડિગ્રી અનિવાર્ય છે. ઉમેદવાર પાસે કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન તેમજ ગુજરાતી અને હિન્દીનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે. અનુભવની દૃષ્ટિએ હાઈકોર્ટ અથવા તેના તાબા હેઠળની કોર્ટમાં એડવોકેટ, એટર્ની કે સરકારી વકીલ તરીકેનો 5 વર્ષનો અનુભવ જરૂરી છે. વૈકલ્પિક રીતે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, સરકારી બોર્ડ કે નિગમમાં કાયદાકીય બાબતોનો 5 વર્ષનો અનુભવ માન્ય રહેશે. પસંદ થયેલા ઉમેદવારને માસિક રૂ. 60,000નો ફિક્સ પગાર આપવામાં આવશે. ઉમેદવારે ગુજરાતી ભાષામાં વાંચન, લેખન અને બોલચાલનું પૂરતું જ્ઞાન ધરાવવું જરૂરી છે. સાથે જ ગુજરાતી-અંગ્રેજી ભાષાંતરનું જ્ઞાન પણ આવશ્યક છે. ઇચ્છુક ઉમેદવારોએ કલેક્ટર કચેરીની મેજિસ્ટ્રીયલ શાખામાંથી અરજી ફોર્મ મેળવીને, જરૂરી આધાર-પુરાવા સાથે તા. 17 જુલાઈ સુધીમાં રજિસ્ટર્ડ એડી અથવા કુરિયર દ્વારા અરજી મોકલવાની રહેશે.
વિસાવદરની ચૂંટણીમાં જીત બાદ ગોપાલ ઈટાલીયા આજે પ્રથમ વખત રાજકોટની મુલાકાતે આવી પહોચ્ય હતા. રાજકોટમાં આજે સાંજે આવી શહેરના મવડી ચોક ખાતે આવેલ દેવાયત બોદરની પ્રતિમાને ફૂલહાર કરી બાદમાં કાર્યકર્તાઓને જાહેરમાં સંદેશો આપ્યો હતો. ગોપાલ ઇટાલિયાએ પોતાની વાત શરૂ કરતા પહેલા પ્લેન ક્રેસમાં મૃત્યુ પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પછી તેને વિસાવદરની ચૂંટણીમાં થયેલ જીત અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ જીત ગોપાલની નહિ સત્યની જીત છે માટે સત્યની જીતની સ્માઈલ આખા ગુજરાતમાં છે. આ ઉપરાંત તેમને વિસાવદરમાં પ્રચાર અર્થે ગયેલા રાજકોટના નેતાઓને આડે હાથ લઇ નિવેદન આપી જનતાએ જાકારો આપ્યાની વાત રજૂ કરી. વિસાવદરની જનતાએ 3 સંદેશા આપ્યા હોવાથી ગુજરાતમાં આજે રાજકોટમાં વિજય સંદેશ રેલીનું આયોજન કર્યા હોવાનું જણાવ્યું હતું. વિસાવદરની જનતાએ 3 સંદેશ આપ્યા છેગોપાલ ઈટાલીયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિસાવદરની ચૂંટણીમાં જે જીત થઇ તે મારી જીત નથી. અસત્ય સામે સત્યની, અનીતિ સામે નીતિની જીત થઇ છે માટે ગુજરાત આખાના ચહેરા ઉપર એક સ્માઈલ જોવા મળી રહી છે. વિસાવદરની જીતથી વિસાવદરની જનતાએ 3 સંદેશ આપ્યા છે. જેમાં પ્રથમ સંદેશ છે ભાજપને હરાવવી જ જોઈએ, બીજો સંદેશ છે ભાજપને હરાવી શકાય છે અને ત્રીજો સંદેશ છે ગુજરાતની જનતાનો આત્મા જાગશે ત્યારે ભાજપવાળા ઉભી પુंછડીએ ભાગશે.. આ સાથે તેમને એમ પણ કહ્યું હતું કે વિસાવદરની ચૂંટણીમાં રાજકોટના ખટારો ભરીને નેતાઓ પ્રચાર અર્થે આવ્યા હતા. નાહ્યા ધોયા વગર આ નેતાઓ વિસાવદરમાં વિકાસની અને પેરિસના રસ્તાઓની વાતો કરતા હતા જનતાએ તેમને જાકારો આપી કહ્યું કે, તમે જાવ પહેલા તમારા વિસ્તારની ચિંતા કરો અહીંયાની નહિ.. કેમેરા દંડ ફટકારશે પણ ભૂમાફિયાઓ સામે કોઈ કડક કાર્યવાહી દાખવી શકે તેમ નથીરાજકોટની જનતા અને રાજકોટની જનતા અંદરનો આત્મા જગાડવાની જરૂર છે. અંદરનો આત્મા જાગશે તો જરૂર ગુજરાત આખામાં પરિવર્તન આવશે. રાજકોટની અંદર પાણીના પ્રશ્નો છે, રોડ રસ્તાના પ્રશ્નો છે, ટ્રાફિક અને ગુંડાગર્દીના પ્રશ્નો છે. હર્ષ સંઘવી ગમે એટલી ફાંકા ફોજદારી કરે હર્ષ સંઘવી કે તેની પોલીસ ભૂમાફિયાઓને માર મારી એના ત્રાસથી બચાવી શકશે નહિ. તમે હેલ્મેટ પહેર્યા વગર જશો તો કા તો નીચે રસ્તા પર પોલીસ રોકશે અને કા તો ઉપર રહેલા કેમેરા દંડ ફટકારશે પણ ભૂમાફિયાઓ સામે કોઈ કડક કાર્યવાહી કરવાની હિંમત પોલીસ દાખવી શકે તેમ નથી. લડતા રહેજો અમે સાથ આપીશુંસ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે તેમને જણાવ્યું હતું કે, રાજકોટ મનપાની ચૂંટણી આવશે તેમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડશે અને જનતાનો પ્રેમ મેળવશે. પાછલી મનપાની ચૂંટણીમાં આવડું સંગઠન રાજકોટમાં કે ગુજરાતમાં આપનું હતું પણ નહિ, ધારાસભ્યો પણ ન હતા આમ છતાં 18% વોટ શેર જનતાએ આમ આદમી પાર્ટીને આપી કહ્યું હતું કે, લડતા રહેજો અમે સાથ આપીશું આ વખતે અમે ચોક્સ 38% મત મેળવીશું. ભાજપ અને કોંગ્રેસના થાકેલા કાર્યકર્તાઓ આપ સાથે જોડાવવાના છે અને બધાને હું આવકારું છું. વધુને વધુ લોકો કે જે સમાજ સેવા કરવા માંગતા હોય તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી પણ હું વિનંતી કરું છું.
ગુજરાત હાઇકોર્ટમાં એક મહિલાએ પોતાના પતિ અને અન્ય બે આરોપીને પુત્રની હત્યાના કેસમાં રાજકોટ કોર્ટ દ્વારા નિર્દોષ છોડવા સામે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. હાઇકોર્ટે અપીલ નકારી નાખતા રાજકોટ કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો હતો. કેસને વિગતે જોતા, રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતી એક મહિલાએ 2016માં રાજકોટના ગાંધીગ્રામ 2 યુનિવર્સિટી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી કે તેના પરિવારમાં પતિ અને બે પુત્ર છે. મોટો પુત્ર 28 વર્ષ અને નાનો 8 વર્ષનો છે. મોટો પુત્ર એકાઉન્ટટ તરીકે કામ કરતો હતો. તેના અગાઉ બે વખત છૂટાછેડા થઈ ગયા હતા અને તેને પણ એક પુત્ર છે. તેની પાસે બે મોબાઇલ હતા, જેમાંથી એક મોબાઈલ ખોવાઈ જતા તે મોબાઇલને પુત્ર શોધતો હતો. એક વ્યક્તિનો તેની ઉપર ફોન આવ્યો હતો કે, તેને મોબાઈલ મળ્યો છે. તેને જામનગર જવા નીકળવાનું હોવાથી આજે જ મોબાઈલ લઇ જાય. પુત્ર તે વ્યક્તિને મળવા ગયો, પરંતુ પરત આવ્યો નથી. છેલ્લે પોલીસ તેમના ઘરે આવી હતી અને એક યુવકની લાશ મળી હોવાનું જણાવ્યું હતું, તે તેના પુત્રની લાશ હતી. રાજકોટ સેશન્સ કોર્ટમાં આ કેસ ચાલતા પોલીસે તપાસ કરીને રહસ્ય ખોલ્યું હતું કે, પિતાએ જ પુત્રને મારવા માટે અન્ય બે આરોપીને 5 લાખની સોપારી આપી હતી. પિતાનું માનવું હતું કે, તે તેના પુત્રનો બાયોલોજિકલ પિતા નથી. વળી તે પોતાનું એક મકાન વેચવા માંગતા હતા, પણ મૃતક મોટો પુત્ર તેના વિરોધમાં હતો. આથી ગુનાહાહિત કાવતરું રચીને હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. યુવકને માથામાં પાઈપ મારીને ખાડામાં ફેંકી દેવાયો હતો અને તેના મોઢામાં પ્લાસ્ટિક તેમજ થર્મોકોલના ટુકડા નાખવામાં આવ્યા હતા. એક આરોપી પાસેથી સોપારીના 2.65 લાખ રિકવર કરવામાં આવ્યા હતા. આ કેસમાં કુલ 28 સાહેદ અને 41 પુરાવા તપાસવામાં આવ્યા હતા. જો કે રાજકોટ કોર્ટે આરોપીને નિર્દોષ છોડતા નોંધ્યું હતું કે, આરોપીઓ સામે માત્ર સાંયોગિક પુરાવાઓ છે. કોઈ પ્રત્યક્ષદર્શી સાહેદ નથી. આ કેસમાં CDR મળેલ નથી. ઘટનાની કડીઓ એક બીજાને જોડતી નથી, જેથી આરોપીને શંકાનો લાભ આપવામાં આવે છે. ગુજરાત હાઇકોર્ટે રાજકોટ કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવતા નોંધ્યું હતું કે, 28 વર્ષથી પિતા તેના પુત્ર સાથે રહ્યા છે, પરંતુ પિતાએ ક્યારેય આવો પ્રયત્ન કર્યો નથી. હવે તેમણે પુત્ર પોતાનો નહીં હોવાનું લાગે તે વાત માનવી અઘરી છે. પુત્ર મકાન વેચવાના વિરોધમાં હતો, પરંતુ તેટલા માત્રથી પિતા પુત્રની હત્યા કરાવે તે પણ શંકાજનક છે. વળી પાઇપ ઉપર મૃતકના લોહીના ડાઘ કે આરોપીના આંગળીઓના નિશાન મળ્યા નથી. આમ આરોપીઓ સામે પૂરતા પુરાવા નથી. ઘટનાઓને એક બીજા સાથે સાંકળતી ચેઇન બનતી નથી. તપાસ અધિકારી મહત્વના સાક્ષીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા છે, કોલ ડેટા રેકોર્ડ અને સંલગ્ન 65Bનું સર્ટિફિકેટ પણ કોર્ટ સમક્ષ રજૂ કરાયું નથી. આમ આ અપીલ નકારી નાખવામાં આવે છે.
સુરેન્દ્રનગર SOGની કામગીરી:ગેડિયા ગામના શખસ પાસેથી દેશી બનાવટની બંદૂક મળી, કેસ દાખલ
સુરેન્દ્રનગર જિલ્લામાં એસઓજી પોલીસે ગેરકાયદે હથિયાર રાખનાર શખ્સની ધરપકડ કરી છે. જિલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગિરીશ પંડયા (IPS)ની સૂચના મુજબ હથિયારધારાના ગુનાઓ અટકાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ અનિરૂધ્ધસિંહ મહિપતસિંહને બાતમી મળી હતી. બાતમી મુજબ, ગેડિયા ગામનો સાહીલખાન બિસ્મીલાખાન મલેક ગેરકાયદેસર હથિયાર સાથે રાતડકી તલાવડી પાસેથી પસાર થવાનો હતો. પોલીસે વોચ ગોઠવીને 27 વર્ષીય આરોપીને ઝડપી લીધો હતો. તેની પાસેથી લાયસન્સ કે આધાર પુરાવા વગરની દેશી હાથ બનાવટની મઝલલોડ સિંગલ બેરલ બંદૂક મળી આવી હતી. બંદૂકની કિંમત રૂ. 3000 આંકવામાં આવી છે. આરોપી વિરુદ્ધ બજાણા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ 25(1-B)a હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કામગીરીમાં PI બી.એચ.શીંગરખીયા, PSI એન.એ.રાથમા, PSI આર.જે.ગોહિલ સહિતના પોલીસ કર્મચારીઓની ટીમ સામેલ હતી.
હિંમતનગરના ટાવર ચોક વિસ્તારમાં આવેલી હિંમત હાઈસ્કૂલમાં શનિવારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અંગે વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. આ વર્કશોપમાં હિંમત હાઈસ્કૂલ-1, એન.કે. પંડ્યા હિંમત હાઈસ્કૂલ-2, એસ.કે પટેલ હિંમત હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગ અને હિંમત-2ના શિક્ષકોએ ભાગ લીધો. પાલનપુરથી પધારેલા નિષ્ણાત દેવેન્દ્રભાઈ ત્રિવેદીએ AIની વિસ્તૃત માહિતી આપી. તેમણે AI શું છે, તેનો વિકાસ કેવી રીતે થયો અને શિક્ષણમાં તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગે વિગતવાર સમજ આપી. કાર્યક્રમના અંતે શિક્ષકો સાથે પ્રશ્નોત્તરી અને ચર્ચા પણ યોજવામાં આવી. કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્ય એસ.એસ. પટેલે વક્તાનું સ્વાગત કર્યું અને પરિચય આપ્યો. તેમણે AIના ભવિષ્યના ઉપયોગો વિશે માહિતી આપી. હિંમત હાઈસ્કૂલ કેળવણી મંડળ દ્વારા શિક્ષકોના સતત વિકાસ માટે આવા કાર્યક્રમો યોજવામાં આવે છે.
વલસાડમાં લેપ્ટોનો કેસ:ધોબીતળાવ વિસ્તારની મહિલા સંક્રમિત, આરોગ્ય વિભાગે સફાઈ અભિયાન શરૂ કર્યું
વલસાડ શહેરના ધોબીતળાવ વિસ્તારમાં રહેતી સબાના મહેબૂબ શેખને તાવની ફરિયાદ બાદ નગરપાલિકાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તપાસમાં મહિલા લેપ્ટોસ્પાયરોસીસથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. હાલ તેમને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ધોબીતળાવ વિસ્તારમાં ઉંદરનો ત્રાસ વધતો જતા લોકોના આરોગ્ય સામે જોખમ ઉભું થયું છે. લેપ્ટોસ્પાયરોસીસ ઉંદરની મૂત્રમાંથી ફેલાય છે. આ રોગ ખાસ કરીને ખેત મજૂરોમાં વધુ જોવા મળે છે. જે લોકો ભીની જમીનમાં ખુલ્લા પગે કામ કરે છે તેમને આ રોગનું જોખમ વધુ રહે છે. આ કેસ સામે આવતા તંત્ર સતર્ક બન્યું છે. આરોગ્ય વિભાગે આસપાસના વિસ્તારમાં સફાઈ અભિયાન શરૂ કર્યું છે. સાથે જ લોકોમાં જાગૃતિ ફેલાવવા માટેના પગલાં પણ લેવામાં આવી રહ્યા છે.
પેટલાદ શહેરના ગોપાલપુરા લક્કડપુરા રોડ પર આવેલા રૂપાવેલ માતાજીના મંદિરમાં થયેલી દાનપેટી ચોરીના કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. સોમવારે રાત્રે બે શખ્સોએ મંદિરની લોખંડની જાળીનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. આરોપીઓએ દાનપેટી તોડીને તેમાંથી રૂ. ૧૫,૪૭૦ની રોકડ રકમ ચોરી કરી હતી. બીજા દિવસે સવારે મંદિરના વહીવટકર્તા અશ્વિનભાઈને ચોરીની જાણ થતાં સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. ફૂટેજમાં બે વ્યક્તિઓ ચોરી કરતા દેખાયા હતા. પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી તપાસ કરી આરોપીઓને પકડી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં વિષ્ણુ ઘનશ્યામભાઈ તળપદા અને કમલેશ નવઘણભાઈ તળપદાનો સમાવેશ થાય છે. બંને આરોપીઓ વિશ્રામપુરા, પેટલાદના રહેવાસી છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી માટે વપરાયેલી લોખંડની કોંસ કબજે કરી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.સી.નાગોલે જણાવ્યું કે આરોપી વિષ્ણુ તળપદાએ અગાઉ પણ ગુના આચર્યા છે. તે ૨૦૨૧માં સાયકલ અને મોબાઈલ ચોરીના કેસમાં ખંભાત રૂરલ પોલીસ મથકે પકડાયો હતો.
જૂનાગઢમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શબ્દયુદ્ધ ગરમાયું છે. ધારાસભ્ય સંજય કોરડીયાએ પૂર્વ ધારાસભ્ય ભીખા જોશી પર 10 ટકા કમિશન લઈને ગ્રાન્ટ વહેંચ્યાનો આક્ષેપ કર્યો હતો. જેના જવાબદમાં કોંગ્રેસ શહેર પ્રમુખ તથા તેમના પુત્ર મનોજ જોશીએ મક્કમ જવાબ આપ્યો છે. રોડ-ગટરના કામ મુદ્દે લેટરથી જુનાગઢનું રાજકારણ ગરમાયું છે. મનોજ જોશીની પોસ્ટ પર સંજય કોરડિયાએ પૂર્વ ધારાસભ્ય ભીખા જોશીએ 10 % ગ્રાન્ટ વહેંચી હોવાનો આરોપ કર્યો છે. જેના જવાબના પૂર્વ ધારાસભ્યના પુત્રએ કહ્યું- 'સાબિત કરો હું જાહેર જીવન છોડીશ'. સંજય કોરડીયાનું નિવેદનધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્ય ભીખા જોશીએ 10 ટકા લેખે ધારાસભ્યની ગ્રાન્ટ વેચી છે. ઘણા લોકો જૂનાગઢને ખોબા જેવડું શહેર કહે છે, પરંતુ હું એમને કહું છું કે જૂનાગઢ ખોબો નહીં, હાંડા જેવું શહેર છે, જુનાગઢ આધ્યાત્મિક નગર છે. લોકો પૈસાની વાત કરે, તો કહી દઉં કે પુરાવા જોઈતા હોય તો આવી જાઓ, હું એવા લોકોને બોલાવીશ કે જેઓ જણાવી દેશે કે, ભીખાભાઈએ 10 ટકા લઈને ગ્રાન્ટ વહેંચી છે. હું આજે જાહેરમાં કહું છું કે, રાજકીય બાબતની અંદર એક પણ વ્યક્તિ એવું કહે કે, સંજય કોરડીયાએ એક પણ પૈસો લીધો છે તો હું જાહેર જીવન ત્યજી દઈશ. મનોજ જોશીનો પ્રતિઉત્તરકોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભીખા જોશીના પુત્ર અને હાલના શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ આ મામલે પ્રતિક્રિયા આપી હતી કે, બે દિવસ પહેલા સંજય કોરડીયાએ સોશિયલ મીડિયામાં એક પત્ર વાયરલ કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, જુનાગઢમાં એકથી દોઢ વર્ષ પહેલા બનેલા ક્યા ક્યા રોડ છે અને ક્યા ક્યા ગેરેન્ટી પિરીયડમાં છે. આની વિરૂદ્ધમાં મે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મુકી હતી કે, એક નાનકડું ખોબા જેવડું જુનાગઢ છે તો તમને આ વિશે ખબર નથી. જે વાતને લઈને તેઓ વ્યક્તિગત આક્ષેપ કરવા લાગ્યા છે. મારા પિતા પર આક્ષેપ કર્યો છે કે તેઓ 10 ટકા લઈને ગ્રાન્ટ વહેંચતા હતા. ધારાસભ્યને દોઢ કરોડની ગ્રાન્ટ મળતી હોય છે તેના 10 ટકા એટલે 10થી 15 લાખ રૂપિયા થાય, હવે જે વ્યક્તિને તમારી જ પાર્ટીએ 15 કરોડ અને કેબિનેટ પ્રધાનની ઓફર કરી હતી ભાજપ જોઈન કરવા, તે વ્યક્તિએ આ ઓફરને લાત મારી દીધી હતી. સંજયભાઈ, તમે સાબિત કરી બતાવો કે, મારા પિતાએ ક્યાં ગ્રાન્ટ વેચી છે. મારા પિતાજી 80 વર્ષની ઉંમરે નિવૃત્તિના આરે છે. જો તમે સાબિત કરી શકશો તો હું જાહેર જીવન છોડી દઈશ. કયા મામલેથી વિવાદ ઉઠ્યો ?ધારાસભ્ય સંજય કોરડીયાએ સોશિયલ મીડિયા પર પત્ર મુક્યો હતો અને કાર્યકર્તાઓને જૂનાગઢ શહેરમાં દોઢ વર્ષ પહેલાં થયેલા રસ્તા-ગટરના કામની વિગતો માગી હતી. તેના જવાબમાં મનોજ જોશીએ પોસ્ટ મૂકી હતી અને સંજય કોરડીયાની ટીકા કરતા લખ્યું હતું કે, જ્યારે તમે કોર્પોરેટર, ચેરમેન અને હવે ધારાસભ્ય છો, ત્યારે શહેરની સમસ્યાઓ માટે લોકોને મૂર્ખ કેમ બનાવી રહ્યા છો ? શું તમને ખબર નથી કે તમે હેલિકોપ્ટરમાં ફરો છો ? હરેશ પરસાણાનો ઉલ્લેખ કરતા મનોજ જોશીએ વધુમાં કહ્યું કે, જ્યારે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણાએ પણ પત્ર લખી તમને કહ્યું કે, તમે સસ્તી પ્રસિદ્ધિ માટે નાટક કરો છો. મનોજ જોશી એ વધુમાં કહ્યું કે, સંજયભાઈ, તમે ફોટો જીવી છો. ટ્રાફિક કંટ્રોલ પોલીસની કામગીરી હોય ત્યાં જઈને સીન સપાટા કરો છો. આજે અઢી વર્ષ થયા, તમારી કોઇ એક એવી સિદ્ધિ બતાવો, જે આખા જૂનાગઢની આંખે ઉગે.
દમણમાં નવો નિયમ:18 વર્ષથી નાના વિદ્યાર્થીઓ સ્કૂલમાં વાહન લઈ નહીં જઈ શકે, ઉલ્લંઘન પર કાર્યવાહી
દમણ જિલ્લાના શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે મહત્વનો નિર્ણય લીધો છે. વિભાગે 18 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને શાળામાં બાઈક, સ્કૂટી કે અન્ય વાહન લાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ આદેશ દમણ-દાદરા નગર હવેલી અને દીવ વિસ્તારની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ માટે લાગુ પડશે. શિક્ષણ વિભાગના સહાયક નિયામક રાજેશ હળપતિએ આ આદેશ જાહેર કર્યો છે. શાળાના વડાઓને વિદ્યાર્થીઓ વાહન ન લાવે તેની ખાતરી કરવા સૂચના અપાઈ છે. મોટર વાહન અધિનિયમ મુજબ, 18 વર્ષથી નાના બાળક દ્વારા વાહન ચલાવતા અકસ્માત થાય તો માતા-પિતાને ત્રણ વર્ષની જેલ અને રૂ. 25,000નો દંડ થઈ શકે છે. વર્તમાનમાં ઘણા વાલીઓ પોતાના નાબાલિગ બાળકોને વાહન આપી શાળાએ મોકલે છે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓને મુશ્કેલી લાગે છે, પરંતુ મોટાભાગના વાલીઓ સુરક્ષાને ધ્યાનમાં રાખી આ પગલાનું સમર્થન કરી રહ્યા છે. શાળાઓમાં હવે વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અને રોડ સેફટી અંગે જાગૃત કરવામાં આવશે. શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ આદેશનું ઉલ્લંઘન કરનાર શાળા અને વાલીઓ સામે કાયદેસર પગલાં લેવાશે. આ નિર્ણય રોડ સેફટી અને નાબાલિગો દ્વારા વાહન ચલાવવાના કાયદાકીય પરિણામોને ધ્યાનમાં રાખીને લેવાયો છે.
વલસાડ જિલ્લા એલસીબી પોલીસે ધમડાચી પીરૂ ફળીયા નજીક નેશનલ હાઇવે 48 પરથી વિદેશી દારૂની હેરાફેરી કરતી એક સફેદ મારૂતિ અર્ટીગા કાર પકડી પાડી છે. કારમાંથી 20 બોક્સમાં 960 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કારમાંથી રૂ. 2.56 લાખની કિંમતનો વિદેશી દારૂ, રૂ. 5 લાખની કાર અને રૂ. 20 હજારની કિંમતના 4 મોબાઇલ ફોન મળી કુલ રૂ. 7.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં ઘનશ્યામ ચૌહાણ, મયુર સોલંકી, જીજ્ઞેશ ચૌહાણ અને અતુલ પરમાર નામના ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. દારૂનો જથ્થો પૂરો પાડનાર સેલવાસ નિવાસી દશરથ મારવાડી હજુ ફરાર છે. વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા અને એલસીબી પીઆઇ ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ભરૂચ એસઓજીની કાર્યવાહી:તાજીયા રૂટ પર ધાબા ચેકિંગમાં જાહેરનામા ભંગના 20 કેસ નોંધાયા
મહોરમ તહેવારને ધ્યાનમાં રાખીને ભરૂચ એસઓજી પોલીસે તાજીયા રૂટ વિસ્તારમાં વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધર્યું છે. પોલીસે ધાબા અને મકાન ભાડુઆત ચેકિંગની કામગીરી કરી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટરના જાહેરનામા મુજબ, મકાન માલિકોએ પરપ્રાંતીય વ્યક્તિઓને મકાન કે દુકાન ભાડે આપતા પહેલા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નિયત ફોર્મમાં જાણ કરવી ફરજિયાત છે. આ નિયમનું પાલન ન કરનારા મકાન માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. એસઓજી પોલીસે તપાસ દરમિયાન જોયું કે કેટલાક મકાન માલિકોએ ભાડા કરારની નોંધણી કરાવી નથી. આ નિયમનો ભંગ કરનારા માલિકો સામે કુલ 20 ગુના નોંધવામાં આવ્યા છે. પોલીસનું આ પગલું અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટે લેવામાં આવ્યું છે.
ગાંધીનગર જિલ્લાના દહેગામમાં 2021માં થયેલી એક યુવકની હત્યાના કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો છે. આરોપી આફતાબ ઉર્ફે અલતાબ અયુબભાઈ અબદાલને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. કેસની વિગતો મુજબ, આરોપીએ નરોડા ફુવારા રિક્ષા સ્ટેન્ડ ખાતે ફરિયાદીના પુત્ર જગદીશભાઈ પટેલની રિક્ષાનો કાચ તોડ્યો હતો. આ બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં 13 સપ્ટેમ્બર 2021ના રોજ બપોરે દહેગામ રેલવે સ્ટેશન પાસે આરોપીએ જગદીશ પર ધારિયા વડે હુમલો કર્યો હતો. જગદીશને ગળા, હાથ, છાતી અને શરીરના અન્ય ભાગોમાં કુલ 12 ઈજાઓ થઈ હતી. તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં 19 સપ્ટેમ્બર 2021ના રોજ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. સરકારી વકીલ પ્રિતેશકુમાર વ્યાસે 50થી વધુ દસ્તાવેજો રજૂ કર્યા અને ચાર સાક્ષીઓના નિવેદન નોંધાયા હતા. કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ઉપરાંત મૃતકના માતા-પિતાને રૂ. 2 લાખ અને તેમની બે દીકરીઓને રૂ. 1 લાખનું વળતર ચૂકવવાની ભલામણ કરી છે.
વિજાપુર તાલુકાના માલોસણ ગામમાં પિતા-પુત્ર વચ્ચેના ઝઘડામાં એક વ્યક્તિનું મોત થયું છે. ખેત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા પ્રવીણજી ઠાકોર 4 જુલાઈની રાત્રે દારૂ પીને ઘરે આવ્યા હતા. આ દરમિયાન પિતા-પુત્ર વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. પુત્ર કિશને પોતાના પિતાને ગડદાપાટુનો માર માર્યો હતો. બીજા દિવસે સવારે મૃતકનો નાનો દીકરો પિતાને ઉઠાડવા ગયો ત્યારે તેમનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે મૂઢ મારના કારણે પ્રવીણજીની અંદરની પાંસળીઓ ભાંગી ગઈ હતી, જેના કારણે તેમનું મૃત્યુ થયું. મૃતકના ભાઈ વિષ્ણુજીએ લાડોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વિષ્ણુજીના જણાવ્યા અનુસાર, તેમના ભાઈને દારૂ પીવાની આદત હતી. મૃત્યુના આગલી રાત્રે તેઓ તેમની દુકાનેથી મસાલો લઈને ઘરે ગયા હતા. મૃતકને બે દીકરીઓ, બે દીકરા અને એક પત્ની છે. પોલીસે આરોપી કિશનની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ સીટી પોલીસે 32 વર્ષ જૂના હત્યા કેસમાં આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે. 1994માં વલસાડના આઝાદ રોડથી મુલ્લાવાડી તરફ જતા રસ્તા પર ધનમાઇ એપાર્ટમેન્ટનું બાંધકામ ચાલી રહ્યું હતું. આ બિલ્ડિંગમાં મલખાનસિંગ ભુરાસિંગ કછુવાહ વોચમેન તરીકે કામ કરતો હતો. બનાવના 20 દિવસ પહેલા તેની ગર્લફ્રેન્ડ સુમિત્રા, જે ખેરગામની રહેવાસી હતી, તેની સાથે રહેવા આવી હતી. 9 ઓગસ્ટ 1994ના રોજ સુમિત્રાએ મલખાનસિંગ પાસે 20,000 રૂપિયાની માગણી કરી હતી. વધુમાં, આરોપીને જાણવા મળ્યું કે સુમિત્રાના અન્ય પુરુષ સાથે પણ સંબંધો હતા. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. ગુસ્સામાં આવેલા મલખાનસિંગે સુમિત્રાનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. લાશને ઘટનાસ્થળે જ છોડીને તે ફરાર થઇ ગયો હતો. ત્યારથી તે પોલીસથી નાસતો ફરતો હતો. 32 વર્ષના લાંબા સમય બાદ વલસાડ સીટી પોલીસની ટીમે આરોપીને તેના વતનમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસે આ જટિલ કેસને ઝીણવટભરી તપાસ દ્વારા ઉકેલ્યો છે.
મહીસાગર જિલ્લાના લુણાવાડા-દીવડા હાઈવે પર આજે એક અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. શામળા ચોકડીથી મલેકપુર તરફ જતા માર્ગ પર એક કાર અને ઇકો વાહન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભયાવહ હતો કે ટક્કર બાદ કારમાં ધડાકાભેર આગ લાગી હતી અને કારના દરવાજા ન ખૂલતા ચાલક અંદર જ સળગીને ભડથું થઈ ગયો હતો. આ કરુણ દુર્ઘટનામાં અન્ય 9 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક લુણાવાડા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કાર અને ઇકો વચ્ચેની ભયાવહ ટક્કરઆ ગોઝારી ઘટના આજે, 5 જુલાઈ, 2025 ના રોજ સાંજના સમયે મહીસાગર જિલ્લાના લુણાવાડા-દીવડા હાઈવે પર બની હતી. મળતી માહિતી મુજબ, શામળા ચોકડીથી મલેકપુર તરફ જતા માર્ગ પર એક કાર અને એક ઇકો વાહન સામસામે આવી ગયા હતા અને તેમની વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતની તીવ્રતા એટલી વધુ હતી કે બંને વાહનોમાં આગ લાગીને ભારે નુકસાન થયું હતું. ટક્કરના કારણે આગ, કારના દરવાજા લૉક થતાં કારચાલકનું મોતઆ ટક્કરના કારણે કારમાં તુરંત જ આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાએ ત્યાં હાજર લોકોમાં ભય અને ગભરાટનો માહોલ પેદા કર્યો હતો. કારમાં લાગેલી આગ ખૂબ જ ઝડપથી પ્રસરી રહી હતી. સૌથી કરુણ બાબત એ હતી કે, અકસ્માત બાદ કારના દરવાજા લૉક થઈ ગયા હતા અને તે ખોલી શકાયા નહોતા. આથી, કારનો ચાલક બહાર નીકળી શક્યો નહીં અને જીવતો જ આગમાં હોમાઈ ગયો હતો. ચાલકનું ઘટનાસ્થળે જ કારમાં સળગીને કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. ઇકો વાહનમાં સવાર 9 લોકોને પણ ઈજાઓજ્યારે કાર ચાલકનું દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ થયું, ત્યારે ઇકો વાહનમાં સવાર અન્ય 9 લોકોને પણ ઈજાઓ પહોંચી હતી. આ ઇજાગ્રસ્તોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું પણ પ્રાથમિક અહેવાલો સૂચવે છે. અકસ્માત સ્થળે ચારેબાજુ ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં મદદ કરી હતી. ઇજાગ્રસ્તોને લુણાવાડા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયઆ ભયાવહ અકસ્માતની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે ત્રણ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. 108 ની ટીમે કોઈ પણ વિલંબ કર્યા વિના તમામ ઘાયલોને પ્રાથમિક સારવાર આપીને તાત્કાલિક લુણાવાડા સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડ્યા હતા. હોસ્પિટલમાં તબીબોની ટીમે ઇજાગ્રસ્તોની સારવાર શરૂ કરી દીધી છે. ફાયર ટીમે કારમાં લાગેલી વિકરાળ આગ પર કાબૂ મેળવ્યોઘટનાની ગંભીરતાને જોતા, લુણાવાડા તાલુકા પોલીસ, જિલ્લા ટ્રાફિક પોલીસ અને લુણાવાડા નગરપાલિકાની ફાયર ટીમે પણ તાત્કાલિક ઘટનાસ્થળે ધસી આવી હતી. ફાયર ટીમે યુદ્ધના ધોરણે કામગીરી કરીને કારમાં લાગેલી વિકરાળ આગ પર કાબૂ મેળવ્યો હતો, જેથી આગ વધુ ન પ્રસરે અને અન્ય કોઈ નુકસાન ન થાય. પોલીસ દળ દ્વારા અકસ્માત સ્થળને કોર્ડન કરીને ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને રાહત તથા બચાવ કામગીરીને સુચારુરૂપે પાર પાડવામાં આવી હતી. લુણાવાડા તાલુકા પોલીસે આ ગંભીર અકસ્માત અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું તે જાણવા માટે પોલીસે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે. વાહનોની ગતિ, ડ્રાઇવરની બેદરકારી, ટેકનિકલ ખામી કે અન્ય કોઈ કારણ જવાબદાર હતું તે અંગે પોલીસ તપાસ કરશે. મૃતક કાર ચાલકની ઓળખ કરવાની કાર્યવાહી પણ પોલીસે હાથ ધરી છે, જેથી તેના પરિવારજનોને આ દુર્ઘટના અંગે જાણ કરી શકાય.
ગુજરાત સરકાર અને EMRI GHS દ્વારા સંચાલિત નિ:શુલ્ક 108 સેવાએ વધુ એક જીવ બચાવ્યો છે. ઈકબાલગઢની 108 ટીમને સાપ કરડવાના કેસનો કોલ મળ્યો હતો. ટીમના EMT ધવલભાઈ અને પાઈલોટ ગિરિશભાઈ તુરંત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે દર્દી અમીરગઢ સરકારી હોસ્પિટલથી પાલનપુર જવા પ્રાઈવેટ વાહનમાં નીકળ્યા હતા. રસ્તામાં વાહન બગડ્યું અને દર્દીની સ્થિતિ વધુ કથળતાં 108ને કોલ કરવામાં આવ્યો હતો. 108ના તબીબી કર્મચારીઓએ દર્દીની ગંભીર સ્થિતિ જોતાં તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી. તેમણે અમદાવાદ સ્થિત હેડ ઓફિસના ડૉક્ટર સાથે સંપર્ક કરી સંપૂર્ણ માહિતી આપી. ડૉક્ટરની સલાહ મુજબ એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ ASV (એન્ટી સ્નેક વિનમ) ઈન્જેક્શન અને અન્ય જરૂરી સાધનોથી પ્રાથમિક સારવાર આપી. દર્દીની સ્થિતિ સ્થિર થતાં વધુ સારવાર માટે તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. આ ઘટના 108 સેવાની કાર્યક્ષમતા અને તત્પરતાનું ઉદાહરણ છે, જે રાજ્યભરમાં અનેક લોકોના જીવન બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
સાબરકાંઠા જિલ્લામાં રવિવારથી પવિત્ર ગૌરીવ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે. અષાઢ મહિનામાં આવતા આ વ્રતનું હિન્દુ શાસ્ત્રોમાં વિશેષ મહત્વ છે. બાલિકાઓ વ્રત પહેલાં પંચધાન્યને માટીના કુંડામાં ઉગાડે છે. વ્રત દરમિયાન બાલિકાઓ પાંચ દિવસ સુધી ઉપવાસ રાખી મહાદેવ મંદિરે જઈ પૂજા-અર્ચના કરે છે. હિંમતનગર સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં શ્રમજીવીઓ ઘરે તૈયાર કરેલા પંચધાન્યના જવારા બજારમાં વેચવા લાવી રહ્યા છે. હિંમતનગરના ટાવર ચોકમાં મહિલાઓ વરસાદથી બચીને જવારા અને પૂજાની સામગ્રીનું વેચાણ કરી રહી છે. બજારમાં પૂજા સામગ્રી અને જવારાના ભાવ 100 રૂપિયાથી વધુ છે. આમ છતાં બાલિકાઓ અને મહિલાઓ ભાવતાલ કરીને ખરીદી કરી રહી છે. ફળફળાદી, સૂકો મેવો અને મીઠાઈના ભાવમાં પણ વધારો નોંધાયો છે.
હિંમતનગર નગરપાલિકા અને માર્ગ-મકાન વિભાગે શહેરના મુખ્ય પ્રવેશદ્વાર મોતીપુરા વિસ્તારમાં સૌંદર્યકરણની કામગીરી શરૂ કરી છે. આ વિસ્તારમાં એસટી નિગમ કચેરીની બહાર તેમજ શામળાજી અને અમદાવાદ તરફના રોડને આધુનિક બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની મોટા શહેરોને આધુનિક બનાવવાની યોજના અંતર્ગત આ કામગીરી હાથ ધરવામાં આવી છે. અગાઉ મહાવીરનગર વિસ્તારમાંથી પસાર થતી હાથમતી કેનાલનું સૌંદર્યકરણ કરવામાં આવ્યું હતું. હવે મોતીપુરા વિસ્તારને આધુનિક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શનિવારે સવારથી પ્રવેશદ્વાર વિસ્તારમાંથી અડચણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી. આ કામગીરી દરમિયાન લારીઓ, ગલ્લાઓ અને કાચા ઝૂંપડાઓ સહિત સરકારી જમીન પરના 150 થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા છે. જગ્યા ખાલી કર્યા બાદ આગળની કામગીરી હાથ ધરવામાં આવશે.
અમીરગઢની સરકારી વિનયન કોલેજમાં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન સમાજશાસ્ત્ર વિભાગ અને NSS દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ વિશે એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના તમામ વિભાગોના અધ્યાપકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. નિતિનકુમાર જાદવે કર્યું હતું. કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ. એન.કે. સોનારસરના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
રાષ્ટ્રીય એકતા શિબિર ધરમપુરમાં સંપન્ન:12 રાજ્યોના 220 વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લીધો
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બરૂમાળ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અંતર્ગત રાષ્ટ્રીય એકતા શિબિર યોજાઈ. આ શિબિરનું આયોજન NSS રિજિયોનલ ડાયરેક્ટરેટ અમદાવાદ, સ્ટેટ NSS સેલ ગાંધીનગર અને સી.ડી.જે. રોફેલ આર્ટ્સ અને આઈ.એસ.આર.એ. રોફેલ કોમર્સ કોલેજ વાપીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. શિબિરમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પોંડિચેરી, ઉત્તરાખંડ, ઓડિસ્સા, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, ગુજરાત, સિક્કિમ, તેલંગાણા અને હિમાચલ પ્રદેશના 220 NSS વિદ્યાર્થીઓ, સ્વયંસેવકો અને પ્રોગ્રામ ઓફિસરોએ ભાગ લીધો હતો. એક સપ્તાહ સુધી ચાલેલા આ શિબિરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. આમાં લોકનૃત્ય, સાંસ્કૃતિક કાર્યક્રમો, ભાષણ સ્પર્ધા, નાટક, કવિસંમેલન, યોગ, સ્વચ્છતા અભિયાન અને રેલીનો સમાવેશ થાય છે. 'એક ભારત શ્રેષ્ઠ ભારત' અંતર્ગત દરેક રાજ્યના વિદ્યાર્થીઓએ પોતાની સંસ્કૃતિને રજૂ કરતા કાર્યક્રમો પ્રસ્તુત કર્યા હતા. વિદ્યાર્થીઓએ ધરમપુરના વિવિધ પ્રવાસન ધામ અને આસપાસના ધાર્મિક કેન્દ્રોની મુલાકાત પણ લીધી. શિબિરમાં ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, NSS રિજિયોનલ ડાયરેક્ટર કમલકુમાર કરજી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. તેમણે વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કર્યા.
અમરેલી જિલ્લાના ખાંભા પે.સેન્ટર પ્રાથમિક શાળામાં શિક્ષકોની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. શાળામાં 4 વિદ્યાર્થીઓ અંદર હતા ત્યારે શિક્ષકો શાળાને તાળું મારીને નીકળી ગયા હતા. વિદ્યાર્થીઓ ગેટ સુધી આવ્યા હતા, પરંતુ તાળાના કારણે બહાર નીકળી શક્યા નહીં. શાળાનો છૂટવાનો સમય 11 વાગ્યે હતો. એક કલાકથી વધુ સમય વીતતાં વાલીઓ ચિંતાતુર બની શાળાએ પહોંચ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં આચાર્ય શાળાએ પહોંચ્યા હતા. બાળકોને બહાર કાઢી વાલીઓને સોંપાયા હતા. મુકેશ મેવાડા નામના વાલીના જણાવ્યા મુજબ, સાડા બાર વાગ્યા સુધી બાળકો ઘરે ન આવતા તેઓ શાળાએ પહોંચ્યા હતા. શનિવાર હોવાથી શાળા સાડા અગિયારે છૂટવાની હતી. વિદ્યાર્થીઓ ગેટ પર ટીંગાઈ રહ્યા હતા અને શિક્ષકો દોઢ કલાકથી ગેરહાજર હતા. દરમિયાન ફસાયેલા વિદ્યાર્થી નિકુંજે જણાવ્યું કે તેમને રિધિબેને બેસવાનું કહ્યું હતું અને રસોઈ બનાવનાર બહેન ચાવી લઈ ગયા હતા. જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરવામાં આવતા શિક્ષક દોડી આવ્યા અને તાળું ખોલી વિદ્યાર્થીઓને મુક્ત કરવામાં આવ્યા. ડેપ્યુટી સોલંકીએ જણાવ્યું કે ટીપીઓને તપાસનો આદેશ આપવામાં આવ્યો છે અને અહેવાલ મળ્યા બાદ જ સાચું કારણ જાણી શકાશે. આચાર્ય રવિ શેગલીયાએ જણાવ્યું આજે શનિવારનો દિવસ હતો. રાબેતા મુજબ શાળા છુટ્યા બાદ બાળકો ઘરે જતા રહ્યા હતા, ત્યારબાદ સ્કૂલનો સ્ટાફ પણ ઘરે જતો રહ્યો હતો. મધ્યાહન ભોજન ચાલવતા બહેનો સાફ સફાઈ માટે સ્કૂલ પર હતા, એક ચાવી તેમના પાસે હતી. મધ્યાહન ભોજન ચાલવતા બહેનો જતાં સમયે મેઈન ગેટને તાળું મારી ચાલ્યા ગયા હતા. બાળકો પાછળના ભાગમાં રમતા હતા. તેઓ શાળાના રહી ગયા હતા. શરતચૂકથી દરવાજો બંધ થઈ ગયો હતો.
ગુજરાત સરકારે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં નવી શૈક્ષણિક પહેલ શરૂ કરી છે. 5 જુલાઈ 2025થી દર શનિવારે ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓ સ્કૂલબેગ વગર શાળામાં આવશે. આ દિવસે વિદ્યાર્થીઓ રમતગમત, ચિત્રકલા, સંગીત, યોગાભ્યાસ, બાલસભા અને વનસ્પતિ ઓળખાણ જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લેશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક દબાણ ઘટાડવાનો અને તેમને આનંદદાયક શાળાકીય અનુભવ આપવાનો છે. સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ, પાલનપુરે આ પહેલને અનોખી રીતે અપનાવી છે. મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ, શાળા કુદરતી વાતાવરણમાં બાળકોની સર્જનાત્મક શક્તિઓ વિકસાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરશે. આ પ્રવૃત્તિઓમાં ચિત્રકલા, સંગીત, નૃત્ય, અભિનય, વાર્તા કથન, કોયડા ઉકેલ અને બાળ ફિલ્મ નિદર્શન સામેલ છે. રમેશભાઈ પટેલે જણાવ્યું કે તેઓ રાજ્ય સરકારની આ પહેલને આવકારે છે અને બાળકોની આંતરિક શક્તિઓના વિકાસ માટે પ્રયત્નશીલ છે.
મહેસાણાના ખેરાલુમાં શ્રીજી જ્વેલર્સના માલિક સાથે મોટી છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. પશ્ચિમ બંગાળના પાંડુઆનો કારીગર મહીનુદિન ઉર્ફે રાજુ સોનું લઈને ફરાર થઈ ગયો છે. નાથુલાલ સોની છેલ્લા 13 વર્ષથી મહીનુદિનને સોનાના દાગીના બનાવવા માટે સોનું આપતા હતા. આ વખતે તેમણે 15 ગ્રાહકોના દાગીના બનાવવા માટે 409.080 ગ્રામ સોનું આપ્યું હતું. આ સોનાની કિંમત આશરે 40 લાખ રૂપિયા થાય છે. 4 જુલાઈના રોજ નાથુલાલે કારીગરને ફોન કર્યો હતો. કારીગરે ફોન ન ઉપાડતા વેપારીને શંકા ગઈ હતી. તેમણે વિસનગરમાં આવેલા કારીગરના ઘર અને દુકાન પર તપાસ કરી, પરંતુ તે ત્યાં પણ મળી આવ્યો નહોતો. આ સમગ્ર મામલે નાથુલાલ સોનીએ ખેરાલુ પોલીસ સ્ટેશનમાં કારીગર મહીનુદિન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસ શરૂ કરી છે.
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ એલ.પી. સવાણી સ્કુલ પાસે સર્જાયેલા અકસ્માતમાં ફૂડ ડિલિવરી મેનનું ગંભીર ઈજાઓ થવાને પગલે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.ડિલિવરી પતાવ્યા બાદ બાઇક પર ઘરે જતી વેળા પાછળથી અન્ય બાઈક ચાલકે ટકકર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડિલિવરીમેનને ગંભીર ઈજા પહોંચી હતી અને મોત થયું હતું. તેમના મોતને પગલે પરિવારમાં શોક છવાઈ ગયો હતો. ડિલિવરીમેન ડિલિવરી પૂરી કર્યા બાદ બાઈક લઈને ઘરે જતો હતોમળતી માહિતી મુજબ ઓલપાડ ખાતે આવેલ સીવણ ગામમાં રહેતા સ્નેહલભાઈ રામુ સુરતી (ઉ.વ.48) ઓનલાઇન ફૂડ ડિલિવરી કરતી કંપનીમાં ડિલિવરીમેન તરીકે નોકરી કરતા હતા અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને સંતાનમાં એક પુત્ર છે. આ દરમિયાન ગત 21મીએ તેઓ ઓર્ડરની ડિલિવરી પૂરી કર્યા બાદ પોતાની બાઈક લઈને ઘરે જવા માટે નીકળ્યા હતા. તેઓ એલ.પી.સવાણી સ્કુલ પાસે આવેલા પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહ્યા હતા. અકસ્માતના બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરીપાછળથી આવેલા અન્ય એક બાઈકના ચાલકે તેમની બાઈકને ટક્કર મારતા તેઓ બાઈક પરથી નીચે પટકાયા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચ હતી. સારવાર માટે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યારે આજે સવારે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તેનું મોત નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે અડાજણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
પાટણના મઠવાસથી બહુચરાજી પદયાત્રા શરૂ:100થી વધુ યાત્રિકો જોડાયા, 20 વર્ષની પરંપરા જળવાઈ
પાટણના મઠવાસ પ્રજાપતિ યુવક મંડળ દ્વારા શનિવારે બહુચરાજી માતાજીની પદયાત્રાનો પ્રારંભ થયો. આ પદયાત્રા સંઘ છેલ્લા 20 વર્ષથી અષાઢ મહિનામાં પાટણથી શંખલપુર બહુચર માતાજીના મંદિર સુધી નીકળે છે. પદયાત્રાનો પ્રારંભ માતાજીની આરતી સાથે થયો. હુડકોના સ્વતંત્ર ડિરેક્ટર કે.સી.પટેલ, શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ અને પદ્મનાભ મંદિરના ટ્રસ્ટી યશપાલ સ્વામી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 'બોલ મારી બહુચર જય જય બહુચર'ના નાદ સાથે અબીલ-ગુલાલની છોળો વચ્ચે ફટાકડાની આતશબાજી અને ભક્તિ સંગીતના સૂરો સાથે યાત્રાનું પ્રસ્થાન થયું. મંડળના સેવક મુકેશભાઈ પ્રજાપતિના જણાવ્યા અનુસાર, આ વર્ષે 100થી વધુ પદયાત્રીઓ જોડાયા છે. યાત્રીઓને માર્ગમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
સુરત અને આસપાસના વિસ્તારોમાં ખાડીપૂરની વર્ષો જૂની સમસ્યાના કાયમી ઉકેલ માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની સૂચનાથી એક હાઈ-પાવર કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કમિટી કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના નિષ્ણાતો અને ટેકનિકલ ટીમોના સહયોગથી કામ કરશે. તાજેતરમાં 23 જૂને 13 ઇંચ વરસાદ અને 24 જૂને સીમાડા-મીઠીખાડીમાં આવેલા પૂર બાદ તાત્કાલિક ઉકેલની માંગ ઉઠી હતી. છેલ્લા 7 વર્ષથી ખાડીપૂરને કારણે લાખો લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને છેલ્લા બે વર્ષમાં ખાડીપૂરમાં 6 લોકોના મોત પણ થયા છે. આ ગંભીર સમસ્યાના નિવારણ માટે સુરતના સર્કિટ હાઉસ ખાતે આજે(5 જુલાઈ) કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલ અને આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠક અંદાજે અઢી કલાક ચાલી હતી અને ખાડીપૂરના કાયમી નિરાકરણ માટે આ પ્રકારની બેઠક પ્રથમવાર યોજાઈ હતી. બેઠકમાં થયેલી મુખ્ય ચર્ચાઓ અને નિર્ણયોબેઠકમાં અધિકારીઓ દ્વારા તમામ ખાડીઓની ભૌગોલિક સ્થિતિનું મેપ દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન મંત્રીઓને આપવામાં આવ્યું હતું. શહેરમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ભરાતા પાણી અને ખાડીપૂરના કાયમી નિરાકરણ પર ગહન ચર્ચા કરવામાં આવી. ખાડી ડાયવર્ઝન અને ડ્રેજિંગ જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકીને ચર્ચા કરાઈ હતી. સૌથી મહત્વપૂર્ણ નિર્ણય તરીકે એક હાઈ-પાવર કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કમિટીમાં કેન્દ્ર સરકારના એક અને રાજ્ય સરકારના ત્રણ મંત્રીઓ ઉપરાંત પાલિકા, કલેક્ટર, સિંચાઈ, વન વિભાગ સહિતના તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓનો સમાવેશ થશે. ખાડીપૂરના નિરાકરણ માટે જો ખેડૂતોની જમીન સંપાદનની જરૂર પડશે તો તે અંગે ધ્યાન રખાશેશહેર, જિલ્લા, રાજ્ય અને દિલ્હીની ટેકનિકલ ટીમો અને વિભાગો સાથે મળીને કામ કરશે. પાણીના નોર્મલ પ્રવાહમાં આવતા અવરોધોને દૂર કરવા માટે સર્વે કરવામાં આવશે. સિમેન્ટના પાઇપ નાખવાને કારણે પાણીની વહન શક્તિ ઓછી થઈ હોવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બોક્સ કન્વર્ટર સાથે કામ કરવાની શક્યતાઓ પણ જોવાઈ રહી છે. ખાડીપૂરના નિરાકરણ માટે જો ખેડૂતોની જમીન સંપાદનની જરૂર પડશે તો તે અંગે પણ ધ્યાન રાખવામાં આવશે. ખાડીપૂરને અટકાવવા હાઇપાવર કમિટી બનાવાશેબારડોલીના સાંસદ પ્રભુ વસાવાએ જણાવ્યું હતું કે, બેઠકમાં તમામ વિભાગના અધિકારીઓ જોડે કામગીરીની સમીક્ષા કરી. સુરત શહેરમાંથી પસાર થતી ખાડીઓ અંગે મેપ દ્વારા પ્રેઝન્ટેશન કરાયું.આ ચોમાસામાં તાજેતરમાં વરસાદી પાણીની સમસ્યા ઉભી થઈ હતી. ક્યાંક ને ક્યાંક પાણીનો ભરાવ થાય છે, જેની માનવ જીવન પર અસર થાય છે.જે પાણીને અટકાવવા અથવા ડાઇવર્ટ કરવા માટેનું પ્લાનિંગ કરાયું છે, જે માટે એક હાઈ પાવર કમિટીની ગઠન કરવા નિર્ણય લેવાયો છે. સિમેન્ટના પાઇપ નાખવાના કારણે પણ પાણીની વહન શક્તિ ઓછી થઈવધુમાં તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે નક્કી કર્યું છે કે તમામ વિભાગના લોકો સાથે સંકલન સાધી સમસ્યાનું નિરાકરણ લાવવા નિર્ણય લીધો છે, તમામ મુદ્દાઓમાં મુખ્ય ખાડીપૂરનો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો. પાણીના નોર્મલ પ્રવાહને અવરોધ ઉભો થયો છે.વધુ સરળ રીતે સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરાશે. આ માટે સર્વે પણ કરવામાં આવશે.સિમેન્ટના પાઇપ નાખવાના કારણે પણ પાણીની વહન શક્તિ ઓછી થઈ છે. શહેર, જિલ્લા, રાજ્ય અને દિલ્હીની ટેકનિકલ ટીમ અને વિભાગ સાથે મળી કામ કરશે. આ પણ વાંચો: ચાર દિવસ પછીય સુરતના બે વિસ્તાર 'ટાપુ':પલંગ પર ઘરવખરી રાખી છત સુધી દોરડાથી બાંધી દીધો, હોડીમાં ફૂડ પેકેટ પહોંચે છે; સતત 7મા વર્ષે ખાડીપૂર
વડોદરામાં સ્કૂલ બાદ હવે હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પ્રતાપગંજ વિસ્તારમાં આવેલી લોર્ડ્સ ઈન હોટલને ધમકી મળી છે. આ અંગે જાણ થતાં સયાજીગંજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા સ્થળ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા હોટલ ખાલી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે (4 જૂલાઈ) વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલી ડી.આર.અમીન સ્કૂલને RDXથી ઉડાવવાની ધમકીનો ઇ-મેલ મળતાં પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. આ અંગે DCP ઝોન 2એ જણાવ્યું હતું કે, આ ઈ-મેલમાં પણ કન્ટેન્ટ અગાઉ મોકલેલા ધમકીભર્યા ઈ-મેલ જેવું જ હતું. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં છેલ્લા 12 દિવસમાં 4 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ચૂકી છે. વાંચો સંપૂર્ણ સમાચાર આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ...
આગામી 8થી 12 જુલાઈથી ગૌરીવ્રતનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે ગૌરીવ્રતના આ પાંચ દિવસ બહેનો મુક્તપણે બગીચાઓમાં ફરી શકે તે માટે વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રતિવર્ષ મુજબ કમાટીબાગ અને નિમેટાબાગ સિવાયના તમામ બગીચાઓમાં બપોરે 2થી સાંજે 7 વાગ્યા સુધી માત્ર બહેનોને પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો છે. 12 જુલાઈના રોજ જાગરણના દિવસે રાત્રે 1 વાગ્યા સુધી તમામ બગીચાઓ ખૂલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અલબત્ત કમાટીબાગમાં બંધ કરવામાં આવેલી જોય ટ્રેન ગૌરીવ્રત શરૂ થતાં પહેલાં શરૂ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. બગીચાઓ 12 જુલાઈએ રાત્રિના 1 વાગ્યા સુધી ખુલ્લા રહેશેવડોદરા મહાનગરપાલિકાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, 8થી 12 જુલાઈ સુધી ગૌરીવ્રતનો તહેવાર હોવાથી વડોદરા મહાનગરપાલિકા હસ્તકના લાલબાગ, સયાજીબાગ(કમાટીબાગ) અને નિમેટાબાગ સિવાયના તમામ બાગોમાં બપોરના 2 કલાકથી સાંજના 7 કલાક સુધી ફક્ત બહેનોને જ પ્રવેશ મળી શકશે. જ્યારે જાગરણના દિવસે 12-7-2025ના રોજ બગીચાઓ રાત્રિના 1 કલાક સુધી ખુલ્લા રહેશે. જોય ટ્રેન શરૂ થવાની સંભાવનાબગીચાઓમાં લોનને નુકસાન ન થાય તેમજ કચરો નજીકની કચરાપેટીમાં નાખીને બગીચાઓને સ્વચ્છ રાખવા સહેલાણીઓને સહકાર આપવા કોર્પોરેશન દ્વારા અપિલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કમાટીબાગમાં સહેલાણીઓ માટે આકર્ષણના કેન્દ્ર સમી જોય ટ્રેન તાજેતરમાં અકસ્માતની ઘટના બનતાં બંધ કરવામાં આવી હતી. આ જોય ટ્રેન ગૌરીવ્રત પહેલાં શરૂ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. પરવાનગી આપવામાં આવે તેવી શક્યતાઃ જોય ટ્રેનના મેનેજર જોય ટ્રેનના મેનેજર હિમાંશુભાઈએ જણાવ્યું હતું કે, અકસ્માતની ઘટના બાદ જોય ટ્રેન બંધ કરાવવામાં આવી હતી, પરંતુ આગામી ગૌરીવ્રતની શરૂઆત પહેલાં ચાલુ કરવાની પરવાનગી આપવામાં આવે તેવી શક્યતા છે. જોય ટ્રેન શરૂ થતાં ગૌરીવ્રતમાં ફરવા આવનાર સહેલાણીઓને મનોરંજન મળશે.
બનાસકાંઠામાં વરસાદી માહોલ:અમીરગઢ-ઈકબાલગઢ પંથકમાં વરસાદી ઝાપટાં, વિસ્તારમાં ઠંડક પ્રસરી
બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે. થોડા સમયના વિરામ બાદ અમીરગઢ અને ઈકબાલગઢ પંથકમાં વરસાદી ઝાંપટાં વરસ્યા હતા. વરસાદના કારણે વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, જિલ્લાના કેટલાક ભાગોમાં હજુ પણ વરસાદ પડવાની સંભાવના છે. વરસાદી ઝાપટાંથી ખેડૂતોને રાહત મળી છે. સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી પણ રાહત મળી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરી છે.
બોટાદમાં બાળકોમાં ફાયર સેફ્ટી અંગેની જાગૃતિ કેળવવાના હેતુથી મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. બોટાદ ફાયર શાખાના ફાયર વાયરલેસ ઓફિસર કુલદીપસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ વિશેષ તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકુરમ અને કિડઝ કાસલ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અગ્નિશમન સાધનોની ઓળખ આપવામાં આવી. તેમને આ સાધનોના યોગ્ય ઉપયોગની તાલીમ આપવામાં આવી. કટોકટી અને ઇમર્જન્સીના સમયે લેવાના સાવચેતીના પગલાં વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં બાળકોએ વિવિધ કલાત્મક ચિત્રો બનાવી ફાયર વિભાગ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી. શાળા પરિવારે બોટાદ ફાયર વિભાગની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવતા પ્રશંસા-પત્ર એનાયત કર્યા હતા.
ગોધરા શહેરમાં સ્કૂલ વાન ચાલકો દ્વારા વિદ્યાર્થીઓની સલામતી સાથે ચેડાં કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થયો છે. આ વિડિયોમાં એક મારુતિ વાન ચાલક હાઈવે પર જોખમી રીતે વાહન ચલાવી રહ્યો છે. વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે વાનમાં વિદ્યાર્થીઓને તેની ક્ષમતા કરતાં વધુ સંખ્યામાં ભરવામાં આવ્યા છે. આ રીતે બાળકોને લઈ જવાથી તેમની સુરક્ષા ગંભીર જોખમમાં મૂકાઈ રહી છે. વાહનની બેઠક ક્ષમતાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આ ઘટના સામે આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. કોઈ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તે મુખ્ય ચિંતાનો વિષય બન્યો છે. વાહન ચાલકો અને શાળા સંચાલકોની બેદરકારી સામે લોકોમાં રોષ વ્યક્ત થઈ રહ્યો છે. સ્થાનિક લોકોએ બાળકોની સલામતી માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.
ગાંધીનગરથી ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન દ્વારા ગુજરાત હાઇકોર્ટના રજીસ્ટ્રાર જનરલને નીચલી અદાલતોમાં સરકારી વકીલોની વર્તણૂક અંગે એક પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં તેમને જણાવાયુ હતું કે આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર્સ, પબ્લિક પ્રોસિક્યુટર્સ અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર્સ સામે સમગ્ર રાજ્યમાંથી અરજદારો દ્વારા તેમની વર્તણૂકોને લઈને ફરિયાદો મળી છે. નિવેદન આપવા આવતા સાક્ષીઓને પરત મોકલી દે છેજેમાં સરકારી વકીલોની વર્તણૂક, સત્યનિષ્ઠા, નિયમિતતા, કેસ રજૂ કરવામાં ગંભીરતા અને જજીસ સાથેની વર્તણૂકની ફરિયાદો છે. આ સરકારી વકીલો કોર્ટના ઓફિસરો છે. પરંતુ તેઓ સમયસર કોર્ટમાં હાજર થતા નથી, યોગ્ય ડ્રેસકોડનું પાલન કરતા નથી, ગંભીરતાથી ક્રિમિનલ કેસ લડતા નથી, કોર્ટનું ડેકોરમ જાળવતા નથી, કોર્ટનો ઓફિસિયલ સમય પતે તે પહેલા જ કોર્ટમાંથી નીકળી જાય છે. કોર્ટ સમક્ષ નિવેદન આપવા આવતા સાક્ષીઓને પરત મોકલી દે છે. જેથી રજીસ્ટ્રાર જનરલ યોગ્ય કાર્યવાહી કરે. જજીસના નિયંત્રણમાં અને માનસિક દબાણમાં કામ કરવું પડશેઆથી હાઈકોર્ટ રજીસ્ટ્રાર જનરલે નીચલી અદાલતોના મુખ્ય જજીસને ઉદ્દેશીને એક ઇમેઇલ મોકલ્યો હતો. જેમાં સરકારી વકીલોની ઉપરોક્ત ગેરવર્તણૂક અંગે DOPને ઇમેઇલ એડ્રેસ ઉપર ફરિયાદ કરવા સૂચના આપવામાં આવી હતી. જો કે સરકારી વકીલોનું કહેવું છે કે, આ તેમની કાર્ય કરવાની સ્વતંત્રતા ઉપર તરાપ છે. તેઓએ જજીસના નિયંત્રણમાં અને માનસિક દબાણમાં કામ કરવું પડશે. જેનો દુરુપયોગ પણ થઈ શકે છે. કેસ ચલાવવાની પૂરતી સમજ તેમને હોય છે, ક્યારેક પક્ષકારો તે બાબત પૂરતી રીતે સમજી શકતા નથી. કેસ કાનૂની પ્રક્રિયા મુજબ ચાલે છે, નહીં કે પક્ષકારોની આશા મુજબ. કેસમાં સમય ના આપવામાં આવે તો ન્યાયમાં નુકશાનની ભીતિ રહે છે. ફરિયાદીને કોઈ મુદ્દે તકલીફ હોય તો ખુલીને વકીલો જોડે વાત કરવી જોઈએ.
નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી, નવી દિલ્હી અને MCPCએ 'મીડિયેશન ફોર ધ નેશન' અંતર્ગત 90 દિવસની મધ્યસ્થીકરણ ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશ 1 જુલાઈથી આરંભ થઈ છે. સમગ્ર રાજ્યની તાલુકા કોર્ટ, જિલ્લા કોર્ટ અને હાઈકોર્ટના પડતર કેસોમાં મધ્યસ્થીકરણ દ્વારા સમાધાન લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ અંતર્ગત વિવિધ પ્રકારના કેસોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મધ્યસ્થીકરણમાં સામેલ કેસોમાં લગ્નજીવનની તકરારો, અકસ્માત વળતર, ઘરેલુ હિંસા, ચેક બાઉન્સ, વેપારી વિવાદ, સર્વિસ મેટર, સમાધાન લાયક ફોજદારી કેસો, ગ્રાહક તકરાર, મિલકત વિભાજન, જમીન સંપાદન અને અન્ય દીવાની દાવાઓનો સમાવેશ થાય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન એસ.વી. વ્યાસના માર્ગદર્શન હેઠળ જિલ્લાની તમામ અદાલતોમાં આ કાર્યવાહી હાથ ધરાશે. નાગરિકોને તેમના પડતર કેસો માટે મધ્યસ્થીકરણની અરજી કરવા અને આ અભિયાનનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવે લોકોને આ મધ્યસ્થીકરણ ઝુંબેશનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો છે.
બોટાદ શહેરમાં બિસ્માર રસ્તાઓના મુદ્દે કોંગ્રેસના કાર્યકરોએ નગરપાલિકા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું છે. કાર્યકરો આવેદનપત્ર આપવા પહોંચ્યા ત્યારે નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર કચેરીમાં હાજર ન હતા. અધિકારીઓની ગેરહાજરીના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરોએ કચેરી બહાર રામધૂન બોલાવી. તેમણે ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. કોઈ જવાબદાર અધિકારી ન મળતા કાર્યકરોએ ચીફ ઓફિસરની ચેમ્બરની દિવાલ પર આવેદનપત્ર ચોંટાડી દીધું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમતભાઈ કટારીયાના નેતૃત્વમાં કાર્યકરોએ શહેરના રસ્તાઓની તાત્કાલિક મરામત કરવાની માગણી કરી છે. કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો નગરપાલિકાને તાળાબંધી કરવામાં આવશે. આ ઉપરાંત રસ્તા રોકો આંદોલન પણ કરવામાં આવશે.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા મહિલા સાથે શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટના નામે 1.49 કરોડ રૂપિયાની ઠગાઈ થઈ છે. મહિલાએ આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. લિંક દ્વારા મહિલાને રોકાણ સેશનમાં એડ કરવામાં આવીવડોદરા ગોત્રી વિસ્તારમાં રહેતા મહિલા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું ભાગીદારીમાં આઇટી રિટર્ન અને જીએસટીનું કામ કરું છું. ગત તા 23 માર્ચના રોજ મને એક મેસેજ આવ્યો હતો. જેમાં ઝીરોધાના સ્પેશીયલ ગેસ્ટ વિજય સિંગ ફ્રી વીઆઈપી વોટસએપ સ્ટોક શેરિંગ ગ્રુપ ચાલુ કરવાનો છે અને માર્કેટને લગતી ટીપ્સ આપવાના છે, જેની એક લિંક આપવામાં આવી હતી. આ લિંક ઉપર ક્લિક કરતા મને વિજયસિંઘ રોકાણ સેશનમાં એડ કરવામાં આવી હતી. આ ગ્રુપમાં 101 જેટલા મેમ્બર્સ હતા. ટ્રેડિંગ માટે સ્પેશિયલ એકાઉન્ટ ઓપન કરવા કહ્યુંઆ વિજય સિંઘ ટિપ્સ આપતો હતો અને ગ્રુપના મેમ્બર્સ સારો નફો થાય તેના સ્ક્રીનશોટ મુકતા હતા. ત્યારબાદ આ ગ્રુપમાં યુએસ સ્ટોક અને ઇન્ડિયન સ્ટોપમાં ટ્રેડિંગ કરવું હોય તો સ્ટોક બ્રોકર હીરા કેપિટલ કોર્પોરેશનનું સ્પેશિયલ એકાઉન્ટ ઓપન કરાવવું પડશે, તેવો મેસેજ મૂકવામાં આવ્યો હતો. આ ગ્રુપના એડમીન વિજયસિંઘ દ્વારા એક લિંક મોકલવામાં આવી હતી. આઈડી-પાસવર્ડ બનાવીને મારી પાસે એપ ચાલુ કરાવવામાં આવી હતી. વધુ 20 લાખની માગણી કરતા મહિલાને શંકા ગઈઆ દરમિયાન મેં 1 લાખ રૂપિયા ભરતા બે દિવસમાં મને 1.15 લાખ મળ્યા હતા. આ પૈકી 1000 રૂપિયા ઉપાડ્યા હતા, જેથી મને વિશ્વાસ બેઠો હતો. ત્યારબાદ આ ગ્રુપમાં મેમ્બર વધી ગયા છે, તેમ કહી બીજા ગ્રુપમાં મને એડ કરવામાં આવી હતી અને ઇન્વેસ્ટમેન્ટ માટે ટિપ્સ આપવામાં આવતી હતી. મેં કુલ રૂ.1.49 કરોડ જેટલી રકમ જમા કરાવી હતી, જેની સામે મને 12.56 કરોડનો નફો દેખાતો હતો. જેમાંથી 35 લાખ રૂપિયા ઉપાડવા જતા આ રકમ ઉપડી ન શકી નહોતી અને બીજા 20 લાખની માંગણી કરવામાં આવી હતી. જેથી મને શંકા જતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
તાપી જિલ્લામાં વરસાદની સિઝનની શરૂઆત સાથે જ માર્ગ મકાન વિભાગનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. વ્યારાથી નાની ચીખલી તરફ જતા માર્ગ પર પ્રથમ વરસાદમાં જ પાણી ભરાવાના કારણે રસ્તાની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. માત્ર 4 માસ પહેલા બનાવવામાં આવેલા આ રોડ પરથી ડામરના પોપડા નીકળી ગયા છે. મીંઢોળા નદીમાં સિઝનમાં પ્રથમવાર પાણી આવતાં જ માર્ગ મકાન વિભાગની કામગીરીની ગુણવત્તા સામે પ્રશ્નો ઉભા થયા છે. રોડ પરથી ડામરના પોપડા નીકળી જવાના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે પાણી ઓસર્યા બાદ રસ્તાનું રિપેરિંગ કાર્ય શરૂ કરવું આવશ્યક બન્યું છે. આ ઘટના માર્ગ મકાન વિભાગની નબળી કામગીરી અને ભ્રષ્ટાચારને ઉજાગર કરે છે.
સિધ્ધપુર હાઈવે પર કારમાં આગ:કહોડા ગામના યુવકે સમયસૂચકતા વાપરી કારમાંથી કૂદી પડ્યો, જાનહાની ટળી
સિદ્ધપુર હાઈવે પર દેથળી ચાર રસ્તા નજીક શનિવારે એક કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. કહોડા ગામના વિશાભાઈ પટેલ નામના યુવક પોતાની કાર લઈને સિદ્ધપુરથી કહોડા ગામ તરફ જઈ રહ્યા હતા. દેથળી ચાર રસ્તા નજીક પહોંચતા તેમની કારમાં અચાનક આગ લાગી ગઈ હતી. વિશાભાઈએ તરત જ સમયસૂચકતા વાપરીને કારમાંથી છલાંગ લગાવી હતી. તેમણે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર ફાઈટરની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટર્સે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. કારચાલક વિશાભાઈએ સમયસૂચકતા વાપરીને કારમાંથી કૂદી પડ્યા હોવાથી મોટી જાનહાની ટળી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી.
રાજકોટના સમાચાર:કામદાર યુનિયન દ્વારા કાયમી સફાઈ કામદારોની ભરતી માટેના નિયમો રદ કરવા ઉગ્ર રજૂઆત
રાજકોટ મહાનગરપાલિકામાં 28 વર્ષ બાદ થઈ રહેલી 532 કાયમી સફાઈ કામદારોની ભરતીમાં, માતા-પિતા અને દાદા-દાદી ભૂતકાળમાં કાયમી સફાઈ કામદારો રહી ચૂક્યા હોય તેનાં વારસદારો જ ફોર્મ ભરી શકે છે. તેવા ગેરબંધારણીય નિયમો રદ કરવા માટે રાજકોટ કામદાર યુનિયન દ્વારા આજે શહેર ભાજપ પ્રમુખ માધવ દવે સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જેમાં કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં સફાઈ કામદારો ભાજપ કાર્યાલય ખાતે એકઠા થયા હતા અને જય ભીમ, ભારત માતા કી જય અને વંદે માતરમ્ ના નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. યુનિયન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, આ નિયમ ભારતીય બંધારણના અનુચ્છેદ 14 (કાયદા સમક્ષ સમાનતા) અને અનુચ્છેદ 16 (સરકારી નોકરીમાં સમાનતાની તક) નું ઉલ્લંઘન કરે છે. ત્યારે માતા-પિતા અને દાદા-દાદીવાળો ગેરબંધારણીય નિયમ તાત્કાલિક દૂર કરવામાં આવે અને અન્ય સરકારી ભરતી પ્રક્રિયાની જેમ જ ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતા હાલ પૂરતો મામલો થાળે પડ્યો હતો. સાયબર ક્રાઇમ સામે રક્ષણ નવી પેઢીની તલવારરાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ યોજના હેઠળ ટી.એન. રાવ સ્કૂલ, રાજકોટ ખાતે “સાયબર ક્રાઇમ અને સાયબર સેફટી” અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 300 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડૉ. જનકસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન (DHEW) સ્ટાફે સાયબર પોલીસ સ્ટેશન સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. વિદ્યાર્થીઓને સાયબર જાગૃતિ અંગેની પુસ્તિકાઓ અને પેમ્ફલેટ પણ આપવામાં આવ્યા હતા. સાયબર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કે. બી. વારિયાએ વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ, તેના પ્રકારો અને તેમાંથી કેવી રીતે બચવું તેમજ પરિવારના સભ્યોને કેવી રીતે સુરક્ષિત રાખવા તે વિશે વિગતવાર સમજાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓના પ્રશ્નોના સંતોષકારક જવાબો પણ આપ્યા હતા. અને સાયબરક્રાઇમ સામે રક્ષણ નવી પેઢીની તલવાર હોવાનું જણાવ્યું હતું. મનપાની માલિકીનાં ત્રણ પ્લોટ મેળા માટે ભાડે આપવા ટેન્ડર પ્રક્રિયા શરૂરાજકોટમાં સતત બીજા વર્ષે લોકમેળામાં SOPના પાલનથી રાઇડસ હશે કે નહીં તે સવાલ છે ત્યારે મ્યુ. કોર્પોરેશને આ વર્ષે પણ ત્રણ પ્લોટમાં ખાનગી લોકમેળો યોજવાની મંજૂરી આપવા માટે જગ્યા ભાડે આપવાના ટેન્ડર તૈયાર કર્યા છે. આ ટેન્ડર એક-બે દિવસમાં પ્રસિધ્ધ થશે. જેમાં પણ સરકારની SOPનું પાલન ફરજીયાતપણે કરવાનું રહેશે તેવું અધિકારીઓએ જણાવ્યું છે. ગતવર્ષે રેસકોર્સના લોકમેળામાં રાઇડસ ન હતી અને પૂરો મેળો વરસાદના કારણે ધોવાઇ ગયો હતો. અગ્નિકાંડ બાદ સરકારી કચેરીઓ એસઓપીની રાહ જોતી હોય મનપા એ ખાનગી મેળા માટે મેદાન ભાડે આપ્યા ન હતા. આ વર્ષે હવે SOP સાથે પ્લોટ ભાડે આપવા તૈયારી કરી છે. નાના મવા સર્કલ પર પેટ્રોલ પંપની બાજુમાં 9438 ચો.મી.નો પ્લોટ છે. અમીન માર્ગ ખુણે ઝેડ બ્લુની સામે 4669 અને સાધુ વાસવાણી રોડ રાજ પેલેસ સામે 5388 ચો.મી.નો પ્લોટ છે. તેનું ભાડુ દર વર્ષની જેમ અપસેટ પ્રતિ ચો.મી..5 રુપિયા પ્રતિદિન રાખવામાં આવ્યું છે. અરજી સાથે 1 લાખની ઇએમડી પણ ભરવાની હોય છે. આ અંગેના ટેન્ડરમાં સરકારની સલામતીના ગાઇડલાઇનના ધોરણો પાળવાની શરત રાખવામાં આવી છે. રાઇડસ સહિતના નિયમો જે લોકમેળામાં લાગુ પડે તે ખાનગી મેળામાં પણ લાગૂ પડશે. આર્ટ ગેલેરીના ભાડા ઘટાડવા મેમ્બરો દ્વારા ડે. કમિશનરને રજૂઆત કરવામાં આવીરાજકોટ મનપાની નવનિર્મિત ડો.શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીમાં ભાડામાં વધારો કરતા આ બાબતે આર્ટ સોસાયટીના મેમ્બરોએ વિરોધ કરી ડેપ્યુટી કમિશ્ર્નરને આવેદનપત્ર આપી નવા ભાડા દરનો પુન:વિચાર કરવા રજૂઆત કરી હતી. જેમાં જણાવાયું હતું કે, અગાઉ આ ગેલેરી માટે કલાકાર પાસેથી રૂા.1000 ડિપોઝીટ લેવામાં આવતી હતી. જેમાંથી માત્ર રૂા.400 મેન્ટેનન્સ અને ઈલેકટ્રીક બીલ પેટે કપાત કરી બાકીની રકમ પરત આપવામાં આવતી હતી. હાલ જે નવા ભાડા અને મેન્ટેનન્સ ફીનો ઠરાવ કરવામાં આવ્યો છે તેમાં લગભગ 100 ગણો જેટલો વધારો નકકી કરવામાં આવ્યો છે, જે સામાન્ય અને મધ્યમ વર્ગના કલાકારો માટે અત્યંત અકલ્પનીય છે. ત્યારે આ નવા ભાડા અને મેન્ટેનન્સના ઠરાવ પર પુનર્વિચાર કરવામાં આવે તે જરૂરી છે. રાજકોટ જિલ્લાનાં 11 ડેમોમાં છેલ્લા 24 કલાકમાં નવા નીરની આવકરાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે કુલ 11 ડેમોમાં 24 કલાકમાં નવા નીરની આવક થઇ છે. જેમાં ભાદર, લાલપરી અને ફોફળ ડેમમાં 0.20 ફૂટ, વેણુ-2 ડેમમાં 0.49 ફૂટ, આજી-1 ડેમમાં 0.07 ફૂટ, આજી-3 ડેમમાં 1.05 ફૂટ, ગોંડલી ડેમમાં 1.15 ફૂટ, વેરી ડેમમાં 0.59 ફૂટ, ન્યારી-1 ડેમમાં 0.16 ફૂટ, ખોડાપીપર ડેમમાં 0.66 ફૂટ અને છાપરવાડી-2 ડેમમાં 0.66 ફૂટ નવા નીરની આવક થઇ છે. આ સાથે રાજકોટ જિલ્લાના જળાશયના કેચમેન્ટ વિસ્તારમાં નોંધાયેલ સૌથી વધુ વરસાદ કર્ણિક અને માલગઢ ડેમમાં 35 મી.મી., આજી- 3 અને લાલપરી ડેમમાં 25 મી.મી., ઈશ્વરીયા ડેમમાં 15 મી.મી., ગોંડલી અને વેરી ડેમમાં 10 મી.મી. વરસાદ થયો છે, તેમ રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમની યાદીમાં જણાવાયું છે. આજી-3 ડેમની હેઠવાસનાં ગામે રહેતા લોકોને સાવચેત રહેવા અપીલરાજકોટ જિલ્લાના આજી-3 સિંચાઈ યોજનાના ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે ડેમ 70% ભરાઈ ગયો છે. ડેમ પૂર્ણ ભરાતા રૂલ લેવલ સપાટી જાળવવા ગમે ત્યારે પાણી છોડવામાં આવશે. આથી ડેમની હેઠવાસમાં આવેલા પડધરી તાલુકાના ખજૂરડી, થોરીયાળા, ખીજડી, મોટા ટંકારા,ખાખરા, જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના બોડકા, જસાપર, જીરાગઢ, મેઘપર, પીઠડ, રસનાળ, ટીંબડી, ધ્રોલ તાલુકાના મોડપર, ધરમપુર, સાગડિયા, સાધાધુના અને દેડકદડ ગામના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
રાધનપુર શહેરમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યાએ સ્થાનિકોની મુશ્કેલીઓ વધારી છે. મસાલી રોડ પર આવેલી 15થી વધુ સોસાયટીઓના રહીશો વરસાદી પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે. આ વિસ્તારમાં એક સરકારી અને બે ખાનગી શાળાઓ આવેલી છે. વિદ્યાર્થીઓને ગંદા પાણી વચ્ચેથી પસાર થવું પડે છે. આ પરિસ્થિતિથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહેવાસી ગણપતભાઈ જોશીના જણાવ્યા મુજબ, શહેરમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાય છે. રસ્તાઓ પર મોટા ખાડાઓ પડ્યા છે. મસાલી રોડ પર છેલ્લા 15 વર્ષથી આ સમસ્યા યથાવત છે. નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલી ગટરમાં પાણીનો નિકાલ થતો નથી. નગરપાલિકા દ્વારા ગટરની સફાઈ પણ કરવામાં આવી નથી. બસ ડેપોથી જલારામ સોસાયટી અને શેઠ કેબી વિદ્યાલય બજારના મુખ્ય માર્ગ પર પણ વરસાદી પાણી ભરાયેલા છે. રસ્તા પરના મોટા ખાડાઓને કારણે વાહન ચાલકો જીવના જોખમે વાહન ચલાવી રહ્યા છે. નગરપાલિકા દ્વારા ન તો વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે, કે ન તો રસ્તાઓની મરામત કરવામાં આવી છે. આ પરિસ્થિતિથી વાહન ચાલકો, રાહદારીઓ અને વેપારીઓ પરેશાન છે.
લીમખેડા તાલુકાના પાલ્લી ગામે આવેલી ગર્લ્સ લિટરસી રેસિડેન્સિયલ સ્કૂલ (GLRS) મંડોર ખાતે 2 જુલાઈ, 2025ની રાત્રે ભોજન લીધા બાદ ફૂડ પોઈઝનિંગની ઘટનામાં 98 વિદ્યાર્થિનીઓની તબિયત લથડી. આ ઘટનાએ શાળા તંત્રની બેદરકારી અને આચાર્ય રીટાબેન જોશીની નિષ્ક્રિયતા ઉજાગર કરી, જેનાથી વાલીઓમાં રોષ ફેલાયો. આરોગ્ય વિભાગની ઝડપી કામગીરીથી 89 વિદ્યાર્થિનીઓને 5 જુલાઈએ હોસ્પિટલમાંથી રજા મળી, જ્યારે 9ની સારવાર ચાલે છે. જી.એલ.આર.એસ. મંડોરમાં 380 વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે. 2 જુલાઈની સાંજે ભોજન લીધા બાદ 98 વિદ્યાર્થિનીઓને ઉલટી, ઝાડા, પેટમાં દુખાવો અને મોઢામાંથી ફીણ આવવાની ફરિયાદ થઈ. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા 14ને લીમખેડા સીએચસી, 14ને પીપલોદ, 62ને દુધિયા અને 8ને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાઈ. 48 કલાકના નિરીક્ષણ બાદ 89 વિદ્યાર્થિનીઓ સ્વસ્થ થઈ, હોસ્ટેલ પરત ગઈ, જ્યારે 1 લીમખેડા સીએચસી અને 8 ઝાયડસમાં સારવાર હેઠળ છે. રાજ્ય સરકારે એપિડેમિક ઓફિસર મોકલ્યારાજ્ય સરકારે તાત્કાલિક રાજ્ય એપિડેમિક ઓફિસરને દાહોદ મોકલ્યા. તેમણે હોસ્પિટલોમાં વિદ્યાર્થિનીઓની સ્થિતિની સમીક્ષા કરી, શાળા-હોસ્ટેલની તપાસ કરી અને સૂચનાઓ આપી. ડો. કરિશ્માએ જણાવ્યું, ઝડપી કાર્યવાહીથી 89 વિદ્યાર્થિનીઓ સ્વસ્થ થઈ. બાકી 9ની સ્થિતિ સ્થિર છે. વાલીઓએ આચાર્ય રીટાબેન જોશી પર બેદરકારીનો આક્ષેપ કર્યો. ધોનીબેન ગણાવાએ કહ્યું, ખોરાકમાં દુર્ગંધ હોવા છતાં વોર્ડને જબરજસ્તીથી ખવડાવ્યો. આચાર્ય 24 કલાક બાદ પણ અમને જાણ ન કરાઈ. કિશોર ડામોરે જણાવ્યું, મારી પૌત્રીએ ખોરાકની દુર્ગંધની ફરિયાદ કરી, પણ વોર્ડને જબરજસ્તી ખવડાવ્યો. આચાર્ય અને શાળા તંત્રની ગંભીર બેદરકારીઆ ઘટનાએ શાળાના આચાર્ય રીટાબેન જોશી અને સ્ટાફની ગંભીર બેદરકારીને ઉજાગર કરી છે. વાલીઓએ આક્ષેપ કર્યો છે કે શાળા તંત્રે આ ઘટનાની જાણ તેમને કરી ન હતી, અને તેમને સમાચારપત્રો, સોશિયલ મીડિયા અથવા અન્ય માધ્યમો દ્વારા જ માહિતી મળી. આનાથી વાલીઓમાં ભારે આક્રોશ અને ગભરાટ ફેલાઈ હતી, વિદ્યાર્થિનીના વાલી ધોનીબેન ગણાવાએ જણાવ્યું, મારી બે દીકરીઓ આ શાળામાં અભ્યાસ કરે છે. મને ઘટનાની જાણ મોબાઈલ પર વીડિયો જોઈને થઈ. હું તાત્કાલિક ઘરનું કામ છોડીને લીમખેડા પહોંચી. અહીં આવીને જોયું તો કેટલીક વિદ્યાર્થિનીઓને ઉલટી, ઝાડા અને પેટમાં દુખાવો હતો. મારી દીકરીઓએ જણાવ્યું કે ખોરાકમાં દુર્ગંધ હતી, છતાં વોર્ડન દ્વારા જબરજસ્તીથી ખોરાક ખવડાવવામાં આવ્યો. આચાર્ય રીટાબેન જોશી 24 કલાક હોસ્ટેલમાં હાજર રહેવાની જવાબદારી હોવા છતાં શાળાના સમય બાદ ઘરે જતા રહે છે. આવી ગંભીર ઘટના બાદ પણ અમને જાણ કરવામાં નથી આવી. શું અમારી દીકરીઓનું મૃત્યુ થયા બાદ અમને જાણ કરવામાં આવશે? અમે અમારી દીકરીઓને કોના ભરોસે મૂકીએ? આચાર્ય સામે કડક કાર્યવાહી થવી જોઈએ. અન્ય એક વાલી, કિશોર ડામોરે જણાવ્યું, મને ઘટનાની જાણ સવારે દિવ્ય ભાસ્કર વાંચીને થઈ. હું તાત્કાલિક લીમખેડા પહોંચ્યો અને જાણ્યું કે મારી પૌત્રી દુધિયા સીએચસીમાં સારવાર લઈ રહી છે. મેં તેને પૂછ્યું તો તેણે કહ્યું કે ખોરાકમાં દુર્ગંધ હતી, અને જ્યારે અમે ખોરાક ફેંકવા ગયા ત્યારે વોર્ડન દ્વારા અમને જબરજસ્તીથી ખોરાક ખવડાવવામાં આવ્યો. આના કારણે અમારી તબિયત બગડી. શાળા તંત્રની આવી બેદરકારી અસ્વીકાર્ય છે. વાલીઓનો આક્રોશ અને માંગવાલીઓએ શાળા તંત્રની બેદરકારી પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેઓએ આચાર્ય રીટાબેન જોશી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે અને શાળામાં વિદ્યાર્થિનીઓની સુરક્ષા, ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા સુધારવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. ધોનીબેન ગણાવાએ વધુમાં જણાવ્યું, શાળામાં વિદ્યાર્થિનીઓની જવાબદારી આચાર્ય અને ગૃહમાતાની છે, પરંતુ તેમણે કોઈ કાળજી લીધી નથી. સરકારે આવી ઘટનાઓ ન બને તે માટે શાળામાં પૂરતી સુવિધાઓ અને સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ. વાલીઓએ ત્રણ દિવસ સુધી હોસ્પિટલોમાં પોતાની દીકરીઓ સાથે રહીને તેમની સંભાળ રાખી, અને રજા આપવાના દિવસે હોસ્પિટલોમાં વાલીઓ અને પરિવારજનોના ટોળેટોળા જોવા મળ્યા હતા. ગંભીર ઘટના બાદ રાજ્ય સરકારના તપાસના આદેશઆ ઘટના બાદ રાજ્ય સરકારે ઝીણવટીભરી તપાસના આદેશ આપ્યા છે. રાજ્ય એપિડેમિક ઓફિસરે શાળા અને હોસ્ટેલની ચકાસણી કરી, ખોરાકની ગુણવત્તા, રસોડાની સ્વચ્છતા અને સ્ટાફની જવાબદારીઓની તપાસ હાથ ધરી. આ ઘટનાનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને. લીમખેડા ફૂડ પોઈઝનિંગની આ ઘટનાએ શાળા તંત્રની ગંભીર ખામીઓ અને આચાર્યની બેદરકારીને ઉજાગર કરી છે. આરોગ્ય વિભાગની ઝડપી કાર્યવાહીએ વિદ્યાર્થિનીઓનો જીવ બચાવ્યો, પરંતુ આ ઘટનાએ શાળાઓમાં ખોરાકની ગુણવત્તા, સ્વચ્છતા અને વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. વાલીઓની માંગ છે કે આચાર્ય અને સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને શાળામાં પૂરતી સુવિધાઓ તથા સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. સરકારે આ ઘટનાને ગંભીરતાથી લઈ, ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં લેવા જરૂરી છે, જેથી વાલીઓનો વિશ્વાસ પુનઃસ્થાપિત થાય.
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બ્રેઈનડેડ થવાના કિસ્સાઓમાં મહત્તમ અંગદાન થઈ રહ્યા છે. નવસારીના બ્રેઈનડેડ થયેલા 29 વર્ષીય આકાશ રાઠોડનું અંગદાન થતા ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. નવી સિવિલ હોસ્પિટલથી આ સાથે 71મુ અંગદાન થયું છે. નવસારીના સુંદરપુર ધામ ફળિયામાં રહેતા ભગુભાઈ રાઠોડના પુત્ર આકાશભાઈ તા.30મી જૂને નવસારીમાં બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે ગાય સાથે બાઈક અથડાતા માથામાં ગંભીર ઈજા થઈ હતી. 108 દ્વારા નવસારીની એમ.જી.જી જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. સ્થિતિ ગંભીર હોવાથી અહીંના તબીબોની સલાહથી 108 ઈમરજન્સી દ્વારા તા.30મીએ રાત્રે 11.30 વાગ્યે સુરત નવી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડ અને ત્યારબાદ SICUમાં શિફ્ટ કરવામાં આવ્યા. આજે તા.5મી જુલાઈએ વહેલી સવારે ડો.લક્ષ્મણ ટેહલાની, ડો.નિલેશ કાછડીયા, ન્યુરોલોજિસ્ટ ડૉ.જય પટેલ, ન્યુરોસર્જન ડૉ.કેયુર પ્રજાપતિએ આકાશને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. ત્યારબાદ રાઠોડ પરિવારને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયા, RMO ડૉ.કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. પરિવારે અંગદાનના પૂણ્યકાર્યમાં સંમતિ આપીને માનવતાની ફરજ નિભાવી હતી. સ્વ.આકાશના પિતા ભગુભાઈ, માતા કમુબેન, ભાઈ લાલુભાઈએ સમંતિ આપતા અંગદાન પ્રક્રિયા કરવામાં આવી હતી. બે કિડની અને લીવર અમદાવાદની IKDRC હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
અમરેલી જિલ્લાના લીલીયામાં સાઈનાથપરા, વેલનાથપરા અને સિવિલપરાના રહીશોએ આજે મોટી સંખ્યામાં એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું. રહીશોએ ઢોલ વગાડતા વગાડતા તાલુકા પંચાયત કચેરીનો ઘેરાવ કર્યો અને ટીડીઓને અવેદનપત્ર આપ્યું. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ સફાઈનું કામ કરવામાં આવતું નથી. વિસ્તારમાં ઠેર-ઠેર ગંદકીના ઢગલા પડ્યા છે. શેરીઓ અને રસ્તાઓ પર ગટરના પાણી ફેલાયેલા છે. શેવાળ જામી જવાથી વાહન ચલાવવામાં અને ચાલવામાં મુશ્કેલી પડે છે. સ્થાનિક રાહુલભાઈએ જણાવ્યું કે, વિસ્તારમાં રોડ-રસ્તા, ગટર અને પીવાના પાણીની મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. રેલવેનું પાણી વિસ્તારમાં ડાયવર્ટ કરવામાં આવ્યું છે. ગંદકી અને ગટરના પાણીને કારણે ડેન્ગ્યુ-મેલેરિયા જેવા રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. રહીશોએ આરોપ મૂક્યો છે કે સરપંચ, તલાટીમંત્રી અને ચૂંટાયેલા સભ્યોને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ગ્રામ પંચાયતમાં નિયમો વગર વહીવટ ચાલે છે. સરકારી ગ્રાન્ટ આવવા છતાં મધ્યમવર્ગીય વિસ્તાર હોવાને કારણે કોઈ વિકાસકાર્ય થતું નથી.
જૂનાગઢની સરકારી કન્યા શાળા નંબર-4માં શનિવારે બેગલેસ દિવસની ઉજવણી કરવામાં આવી. નેશનલ એજ્યુકેશન પોલિસી અને શિક્ષણ વિભાગની માર્ગદર્શિકા અનુસાર ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓ બેગ વગર શાળાએ આવ્યા. શાળામાં વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. આમાં રમતગમત, યોગાસન, સૂર્યનમસ્કાર, સંગીત, બાલસભા અને ચિત્રસ્પર્ધાનો સમાવેશ થાય છે. શિક્ષક કંચનબેન સાંગાણીએ વિદ્યાર્થીઓને હર્બલ કાવો બનાવવાની તાલીમ આપી. વિદ્યાર્થીઓને હર્બલ માવો બનાવવાનું પણ શીખવવામાં આવ્યું. શિક્ષકોએ સમજાવ્યું કે તમાકુ અને માવાના સેવનથી કેન્સર જેવા રોગો થાય છે. હર્બલ માવાના ઉપયોગથી નશીલી વસ્તુઓનો ત્યાગ થશે. સહાયક શિક્ષક વિજય નરસાએ જણાવ્યું કે બેગલેસ દિવસે બાળકોના માનસિક અને સર્જનાત્મક વિકાસ માટે ખાસ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. શિક્ષક કંચનબેન સાંગાણીએ ઉમેર્યું કે હર્બલ કાવાની તાલીમથી બાળકો અને તેમના પરિવારજનો સ્વસ્થ રહેશે. વિદ્યાર્થીઓ સિદ્ધાર્થ મહિડા અને સંજય કોડીયાતરે જણાવ્યું કે તેમને રમતો, યોગાસન અને ચિત્રસ્પર્ધામાં ભાગ લેવામાં ખૂબ આનંદ આવ્યો. રાજ્ય સરકારે 5 જુલાઈથી દર શનિવારે બેગલેસ દિવસની જાહેરાત કરી છે. આ પહેલથી બાળકો અભ્યાસ ઉપરાંત અન્ય પ્રવૃત્તિઓ દ્વારા પોતાની છુપાયેલી ક્ષમતાઓ વિકસાવી શકશે.
ગાંધીનગરમાં વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સેક્ટર-2/ડીના રહેવાસી રાકેશ પ્રજાપતિ સામે સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ટ્યુશન સંચાલક નૈમિષકુમાર અકબરીએ વર્ષ 2016માં રાકેશ પ્રજાપતિ પાસેથી 50 લાખ રૂપિયા 3 ટકા વ્યાજે લીધા હતા. પ્રજાપતિએ પહેલા જ મહિનાનું વ્યાજ 1.50 લાખ રૂપિયા કાપી લીધું હતું. નૈમિષભાઈએ 2016થી 2020 સુધી નિયમિત વ્યાજ ચૂકવ્યું હતું. 2018-19માં બે મહિનાનું વ્યાજ ન ચૂકવી શકતા પ્રજાપતિએ રોજના 10 ટકા લેખે 9 લાખની પેનલ્ટી વસૂલી હતી. માર્ચ 2020 સુધીમાં કુલ 81 લાખ રૂપિયા વસૂલ કર્યા હતા. કોરોના કાળમાં 2021 સુધી વ્યાજ ન ભરાતા પ્રજાપતિએ 68.50 લાખનો હિસાબ કાઢ્યો. વ્યાજ ન ભરી શકતા રોજના 10 ટકા લેખે 54 લાખની પેનલ્ટી વસૂલી. જુલાઈ 2023 સુધીમાં કુલ 3.50 કરોડ વસૂલ કર્યા છતાં પ્રજાપતિએ વધુ 2.43 કરોડની માગણી કરી. આરોપી પ્રજાપતિ નૈમિષભાઈને અવારનવાર ધમકીઓ આપતો હતો. તેમના પરિવારને ઉઠાવી લઈ જવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો. ઘાતક હથિયારો બતાવી ભયનું વાતાવરણ ઊભું કરતો હતો. આખરે કંટાળીને નૈમિષભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. રાકેશ પોતાને પોલીસમાં ઉચ્ચ અધિકારીઓને સાથે ઘરોબો હોવાનો પણ દાવો કરી માણસો મોકલી ઘરે ધમાલ કરવાની ધમકી આપી ફાયરિંગ કરી પતાવી દેવાની ધમકીઓ પણ આપતો હતો.આખરે વ્યાજખોર રાકેશ પ્રજાપતિના અસહ્ય ત્રાસથી કંટાળી નૈમીષે સેક્ટર - 21 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પાલનપુરના જનતાનગર વિસ્તારમાં ગઈ રાત્રે એક યુવકની હત્યાની ઘટના સામે આવી છે. મૃતક મુસ્તકીન પઠાણની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી છે. પોલીસને કંટ્રોલ રૂમમાં ફોન દ્વારા માહિતી મળતાં તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમાં હત્યા થઈ હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. પાલનપુર પૂર્વ પોલીસે ત્રણ અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પોલીસે કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી છે. બનાસકાંઠાના ડીવાયએસપીએ જણાવ્યું કે મૃતકના મિત્રો અને પરિવારજનોની પૂછપરછ ચાલુ છે. આરોપીઓને પકડવા માટે પોલીસે વિશેષ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે dysp બનાસકાંઠા એ જણાવ્યું હતું કે પાલનપુર ના જનતાનગરમાં ગઈ રાત્રીના કંટ્રોલ એક ટેલિફોનિક જાણ થતાં જનતાનગરમાં મુસ્તકીન પઠાણની હત્યા કરી આરોપી નાસી ગયેલા છે. પાલનપુર પૂર્વ પોલીસ દ્વારા તાત્કાલિક અલગ અલવ ટીમો બનાવી આરોપી પકડાવી ચક્રો ગતિમાન કર્યા હતા, જે અન્યવ્યે શકમંદોને રાઉન્ડ પર કર્યા છે અને હાલ પોલીસ દ્વરા કાર્યવાહી ચાલુ છે. સમગ્ર ઘટનામાં મિત્ર વર્તુળમાં અને પરિવારજનોમાં પૂછપરછ ચાલુ છે શકમંદ રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે.
વર્ષ 2015માં સુરતના ખટોદરા પોલીસ મથકે ન્યુ સિવિલ હોસ્પિટલના ગવર્મેન્ટ નર્સિંગ કોલેજના મહિલા પ્રિન્સિપલ, લેક્ચરર તથા હેડનર્સ સામે આપઘાત પ્રેરણાનો ગુનો નોંધાયો હતો. જેને રદ કરવા તેઓએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. ગુજરાત હાઇકોર્ટે પક્ષકારોની દલીલો સાંભળીને ખટોદરા પોલીસ મથકે નોંધાયેલી પોલીસ ફરિયાદ અને ત્યારબાદ ઉદભવેલી કાનૂની પ્રક્રિયાઓ રદ કરી છે. 18 વર્ષીય વિદ્યાર્થીનીએ પંખે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતોકેસને વિગતે જોતા વર્ષ 2015માં સુરતમાં ગવર્મેન્ટ નર્સિંગ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં B.sc નર્સિંગના અભ્યાસક્રમમાં ભણતી 18 વર્ષીય વિદ્યાર્થીનીએ પંખે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. તેને એક સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં તેણે લખ્યું હતું કે તે પોતાની મરજીથી આપઘાત કરે છે. તે આ ફિલ્ડ અને કોલેજથી કંટાળી ચૂકી છે. અહીંના લોકો મેન્ટલ પ્રેશર આપે છે અને ઘરે જવા દેતા નથી. તેને આ ફિલ્ડ જેલ જેવી લાગે છે. મૃતક યુવતી અંગ્રેજી મીડીયમમાં ભણી હતીપોલીસે યુવતી સાથેના સંલગ્ન સાહેદોના નિવેદન લીધા હતા. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, મૃતક યુવતી અંગ્રેજી મીડીયમમાં ભણી હતી જેથી તે આરોપીઓને ગમતી નહોતી. યુવતી નર્સિંગનું ભણી રહી હોવા છતાં તેની પાસેથી ગોદડા સીવડાવવાનું કામ કરવામાં આવતું હતું. તેને ઘરે જવા માટે રજા આપવામાં આવતી નહોતી. આખરે મૃતકના પિતાએ તત્કાલીન નર્સિંગ કોલેજ મહિલા પ્રિન્સિપલ, લેક્ચરર અને હેડનર્સ સામે પોલીસ ફરિયાદ આપી હતી. આરોપીઓ ઉપર આપઘાત દુષ્પ્રેરણાની કલમ લાગી શકે નહીગુજરાત હાઇકોર્ટમાં અરજદારે રજૂઆત કરી હતી કે, ફરિયાદ ઘટનાના ત્રણ દિવસ બાદ કરવામાં આવી છે. આપઘાત દુષ્પ્રેરણા તે ફરિયાદીનો પાછળથી ઉદભવેલ વિચાર છે. ફરિયાદ જોતા આરોપીઓ ઉપર આપઘાત દુષ્પ્રેરણાની કલમ લાગી શકે તેમ નથી. આરોપીઓ કોઈ એવા ખોટા પગલા ભર્યા નથી કે જેથી યુવતીએ તેને લઈને આપઘાત કરવો પડ્યો હોય. મૃતક યુવતી પોતાની ફિલ્ડથી હેરાન હતીસામે ફરિયાદી પક્ષે દલીલ કરી હતી કે, પોલીસે કોઈ એવો અભિપ્રાય આપ્યો નથી કે આ કેસમાં આરોપીઓ ઉપર આપઘાત દુષ્પ્રેરણાની કલમ લાગે નહીં. મૃતક યુવતી પોતાની ફિલ્ડથી હેરાન હતી. અરજદારો કડક નિયમોનું પાલન કરાવતા હતા અને વધુ કામ લેતા હતા તે બાબત કોર્ટ સમક્ષ મૂકવામાં આવી છે. પરંતુ તેનાથી આપઘાત પ્રેરણાનું કોઈ તત્વ પુરવાર થતું નથી. આથી કોર્ટે ત્રણેય આરોપીઓ સામેની ફરિયાદ અને તેનાથી ઉદ્ભવેલી કાનૂની કાર્યવાહી રદ કરી હતી.
પ્રવેશ પ્રક્રિયા:મેડિકલ-ડેન્ટલ સહિતના અભ્યાસક્રમમાં અત્યાર સુધી 2937 વિદ્યાર્થીએ પીન ખરીદ્યા
શૈક્ષણિક વર્ષ 2025-26 માટે મેડિકલ, ડેન્ટલ,આયુર્વેદિક, હોમિયોપેથિક સહિતના કોર્સમાં ઓનલાઇન ખરીદી રજીસ્ટ્રેશન કરવાની મુદત 18 જુલાઈ સુધીની છે. અત્યાર સુધી કુલ 2937 વિદ્યાર્થીઓએ પીન ખરીદ્યા છે. જેમાંથી 2348 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે ઓલ ઇન્ડિયા ક્વોટાની 15% બેઠક માટે 48 પીન ખરીદ્યા છે, જેમાંથી 36 વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવીને નજીકના હેલ્પ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટની નકલ જમા કરાવવાની રહેશે. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ડેન્ટલ કૉર્સમાં પ્રથમ રાઉન્ડની ચોઈસ ફિલિંગની પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. 8 જુલાઈ સવારે 11 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્ડ માટે ચોઈસ ફીલિંગ કરી શકશે. 8 જુલાઈ બપોરે 1 વાગ્યા સુધી વિદ્યાર્થીઓએ ભરેલી 24 જોઈ શકશે. ચોઈસ ફીલિંગ બાદ એડમિશનની આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વિદ્યાર્થીઓએ વધુ વિગત માટે પ્રવેશ સમિતિની વેબસાઈટ www.medamgujarat.org પરથી માહિતી મેળવવાની રહેશે.
પાટણ તાલુકામાં સંકલન બેઠક:વિદ્યાર્થીઓ માટે બસ સેવા, આંગણવાડી કેન્દ્ર સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા
પાટણ મામલતદાર કચેરી ખાતે તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક ઈન્ચાર્જ પ્રાંત અધિકારી ગોસ્વામીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમારે વિવિધ રજૂઆતો કરી હતી. પાટણથી કણી સુધી સાંજના સમયે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બસ સેવા શરૂ કરવાની રજૂઆત સંદર્ભે ડેપો મેનેજરે વિભાગીય નિયામકને દરખાસ્ત મોકલી છે. પાટણમાં આદર્શ નિવાસી કુમાર શાળા (અનુ.જાતિ) માટે સરકારી મકાન ફાળવવા 5-6 એકર જમીનની માંગણી કરવામાં આવી છે. બાલીસણા ગામમાં મફતગાળાની માપણી કરવામાં આવી છે. પોલીસ સ્ટાફ ક્વાર્ટર્સ અને પરેડ ગ્રાઉન્ડના બાંધકામ માટે જમીન માપણીની નકલ પોલીસ ઇન્સ્પેક્ટરને ફરીથી મોકલવામાં આવશે. આંગણવાડી કેન્દ્ર નંબર 182 બે વર્ષથી ભાડાના મકાનમાં ચાલે છે. આઇસીડીએસ વિભાગે જણાવ્યા મુજબ ટૂંક સમયમાં નવી આંગણવાડીનું કામ શરૂ થશે. બાલીસણા ગામે બસ સ્ટેન્ડ પાસે નવા બનેલા સમ્પમાં પાણી નાખવાની રજૂઆત અંગે પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરે સ્થળ તપાસ કરી નિયમોનુસાર કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. બેઠકમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના કરવડ વિસ્તારમાં થયેલી યુવકની હત્યાના કેસમાં પોલીસે માત્ર 5 કલાકમાં આરોપીઓની ધરપકડ કરી લીધી છે. કરવડ સુગર કોલોનીમાં સીરાજ અહેમદની ચાલીમાં રહેતા 26 વર્ષીય રોહીદાસ બાબુરાવ ભુરકુડનો લોહીલુહાણ મૃતદેહ મળ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે મૃતક સાથે કામ કરતો એક કર્મચારી કોમ્પ્યુટરનો જાણકાર હતો. મૃતકે તેને PF એકાઉન્ટ શરૂ કરવા માટે બેંક ડિટેલ અને પિન નંબર આપ્યા હતા. આરોપીએ આ માહિતીનો દુરુપયોગ કરી PFની જાણકારી મેળવી લીધી હતી. શનિવારે રાત્રે આરોપીએ પોતાના સગીર ભાઈ સાથે મળીને યુવક સાથે દાદરા નગર હવેલી ખાતે ડિનર કર્યું. ત્યારબાદ તેને રૂમ પર મૂકવા ગયા બાદ બંને ભાઈઓએ યુવકની હત્યા કરી. રૂમને તાળું મારીને બંને ટ્રેન મારફતે ફરાર થઈ ગયા હતા. ડુંગરા પોલીસે સન ફાર્મા કંપનીના કર્મચારીઓ અને મૃતકના પરિવારજનોના નિવેદન લીધા. ટેક્નિકલ સર્વેલન્સ અને CCTV ફૂટેજની મદદથી આરોપીઓ સુધી પહોંચી. વલસાડ પોલીસની ટીમે RPFની મદદથી ટ્રેનમાંથી બંને આરોપીઓની ધરપકડ કરી લીધી. પ્રાથમિક તપાસમાં બેંક એકાઉન્ટ અને PFના પૈસા મેળવવાના ઈરાદે હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ડુંગરા પોલીસ હવે વધુ તપાસ કરી રહી છે.
જૂનાગઢ શહેરના રસ્તાઓ અને ગટર વ્યવસ્થાની હાલત દિવસેને દિવસે ખરાબ બનતી જાય છે, જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ગયા ઘણા સમયથી વાહનચાલકો, દુકાનદારો, મુસાફરો અને દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. આ સ્થિતિ સામે આજે આમ આદમી પાર્ટી ગુજરાત મહિલા મોરચાના અધ્યક્ષ રેશ્મા પટેલે તીવ્ર પ્રતિક્રિયા નોંધાવી છે. તેમણે જાહેર રીતે ચીમકી ઉચ્ચારી છે કે, “જૂનાગઢ શહેરના ખરાબ રસ્તાઓ તાત્કાલિક રીપેર કરી સમારકામ નહીં થાય, તો આમ આદમી પાર્ટી મહાનગરપાલિકા સામે ઉગ્ર આંદોલન કરશે.” ભાજપ પર સીધી તીક્ષ્ણ ટીકારેશ્મા પટેલે જણાવ્યું કે“સંજય કોરડીયા ભાજપના ધારાસભ્ય છે, મહાનગરપાલિકા પણ ભાજપની છે, સરકાર પણ ભાજપની છે, છતાં જૂનાગઢની જનતા સુખ સુવિધા માટે હેરાન છે. શરમ આવવી જોઈએ કે ડબલ એન્જિનની સરકાર હોવા છતાં રસ્તાઓની હાલત દયનીય છે.” તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે,આજે જૂનાગઢની પવિત્ર ધરતી ખાડામાં ગઈ છે. રોડ રસ્તા ભ્રષ્ટાચારીઓ ખાઈ ગયા છે. કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે છતાં કામ નથી થતું. મહાનગરપાલિકા કામ કરી જાય છે. ધારાસભ્ય પત્રો લખી કાર્યકર્તાઓ પાસેથી ડેટા માગે છે, આ શરમજનક છે.” આંદોલનની ચીમકીરેશ્મા પટેલે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી કે,“જો તાત્કાલિક ધોરણે રસ્તાઓનું સમારકામ નહીં થાય, વારંવાર તોડાતા રસ્તાઓ બંધ નહીં થાય, તો આમ આદમી પાર્ટી આગામી દિવસોમાં મહાનગરપાલિકા દરવાજા પર આવી ઉગ્ર આંદોલન કરશે અને ન્યાયની માંગ કરશે.” જૂનાગઢની દુર્દશા સામે રાજકીય ગરમાવોવૈશ્લેષિક રીતે જોવામાં આવે તો, એક તરફ ભાજપમાં આંતરિક લેટર યુદ્ધ ચાલી રહ્યું છે, તો બીજી તરફ વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી પણ રસ્તા અને ગટર જેવી મૂળભૂત સમસ્યાઓને લઈને હુમલા તેજ કરી રહી છે. આગામી મહાનગરપાલિકા ચૂંટણી હોવાને કારણે, આવા પ્રશ્નો રાજકીય રીતે વધુ ગૂંજી રહ્યા છે.
આજે 31 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો આજે સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી રાજ્યના 100થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ દ્વારકામાં પોણાપાંચ ઈંચ, જ્યારે કપરાડા અને ધરમપુરમાં સાડાત્રણ ઈંચ વરસાદ પડ્યો. રાજકોટમાં અત્યારસુધીમાં 16 ઈંચ વરસાદ ખાબક્યો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સૂર્યપુત્રી તાપી બે કાંઠે વહેતી થઈ, ડ્રોન વીડિયો સારા વરસાદને પગલે સૂર્યપુત્રી તાપી બે કાંઠે વહેતી થઈ છે, જેનો અદભુત ડ્રોન નજારો પણ સામે આવ્યો છે. ક્યાંક નદીનું રૌદ્ર તો ક્યાંક સૌમ્ય સ્વરૂપ જોવા મળ્યું. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે ચક્કાજામ સુરતથી ભિલાડ સુધી નેશનલ હાઇવે 48 પર ખાડાને લઈ વાહનચાલકો ત્રાહિ મામ્ પોકાર ઊઠ્યા છે. આજે વલસાડના બગવાડા ટોલ પ્લાઝા પર ટેક્સી એસોસિયેશને રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે ચક્કાજામ કર્યો. એના કારણે વાહનોની 5 કિમી લાઈન લાગી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો દેશની પ્રથમ નેશનલ લેવલની સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આણંદમાં દેશની પ્રથમ નેશનલ લેવલની ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન કર્યું. એ દરમિયાન શાહે કહ્યું, સહકાર ક્ષેત્રમાં પારદર્શકતા આવશે અને ભાઈ-ભત્રીજાવાદનો અંત આવશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો પી.ટી.જાડેજાની અટકાયતના વિરોધમાં ક્ષત્રિય સમાજ ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે, જેના વિરોધમાં ક્ષત્રિય સમાજના લોકોએ રેલી યોજી કલેક્ટરને આવેદન આપ્યું. સરકાર અને જયરાજસિંહ પર પદ્મિનીબાએ ગંભીર આક્ષેપો કર્યા હતા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસે ફરી માથું ઊંચક્યું શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસે ફરી એકવાર માથું ઊંચક્યું છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં બે દિવસમાં ચાર બાળકનાં મોત થયાં, જ્યારે 3 બાળકની હાલત ગંભીર છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ન્યૂડ વીડિયો વાઈરલ થવાના ડરે યુવતીનો આપઘાત અમદાવાદના ચાંદખેડામાં યુવતીએ એપાર્ટમેન્ટના 14મા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો. પ્રેમી સાથેના પોતાના ન્યૂડ વીડિયો વાઈરલ થવાના ડરે યુવતીએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ઊંચા વળતરની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી સુરતમાં શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો સુરત સાયબર ક્રાઈમે પર્દાફાશ કર્યો. આરોપીઓ પાસેથી 235 કરોડનાં ટ્રાન્ઝેકશન મળ્યાં. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો આજથી સ્કૂલોમાં બેગલેસ ડેની શરૂઆત આજથી રાજ્યભરની સ્કૂલોમાં બેગલેસ ડેની શરૂઆત થઈ છે, એટલે કે બાળકોએ બેગ વિના જ સ્કૂલે જવાનું, જોકે રિયાલિટી ચેક કરતાં અમદાવાદમાં બાળકો ભારેખમ બેગ સાથે સ્કૂલે આવતાં જોવા મળ્યાં. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો નશામાં ધુત કારચાલકે 3 લોકોને અડફેટે લીધા વડોદરામાં નશામાં ધુત કારચાલકે 3 લોકોને અડફેટે લીધા. આ ઘટનામાં ત્રણ લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે. કારમાં સવાર બંને યુવક નશામાં ધુત હતા. અકસ્માત બાદ યુવકે દારૂ પીધો હોવાની કબૂલાત કરી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
જનસુરક્ષા સંતૃપ્તિ અભિયાન:ભરૂચમાં નાણાંકીય યોજનાઓનો લાભ દરેક પાત્ર લાભાર્થી સુધી પહોંચશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી જનસુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. આ અભિયાન 30 સપ્ટેમ્બર 2025 સુધી ત્રણ માસ માટે ચાલશે. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં સરકારી બેંકોના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં નાણાંકીય યોજનાઓના લાભ અને તેના ઉદ્દેશ્યની વિસ્તૃત ચર્ચા થઈ હતી. જિલ્લા વહીવટીતંત્ર બેંકો સાથે મળીને વધુમાં વધુ લોકો સુધી યોજનાનો લાભ પહોંચાડશે. તાલુકા કક્ષાએ ટીડીઓ અને મામલતદારો અભિયાન અંગેની માહિતી લોકો સુધી પહોંચાડશે. ભરૂચ જિલ્લાના તમામ ગામોમાં જાગૃતિ અને લાભાર્થી સંતૃપ્તિ કેમ્પનું આયોજન કરાયું છે. બેંક પ્રતિનિધિઓ ગામ કક્ષાએ જઈને રિ-કેવાયસી કરશે. નવા બેંક ખાતા ખોલશે અને જનસુરક્ષા યોજનાઓથી લોકોને સુરક્ષા આપશે. અભિયાન હેઠળ અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો લાભ આપવામાં આવશે. લોકોને ડિજિટલ છેતરપિંડીથી બચવાની માહિતી પણ આપવામાં આવશે. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, પ્રાયોજના વહીવટદાર, તાલુકા નોડલ અધિકારીઓ, લીડ જિલ્લા મેનેજર, વિવિધ બેંક મેનેજરો, મામલતદારો અને ટીડીઓ હાજર રહ્યા હતા.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. અનિલ ધામેલિયાની અધ્યક્ષતામાં સરકીટ હાઉસ ખાતે વડોદરા સહિત છ જિલ્લાના ધારાસભ્યો માટે ‘મતદાર યાદી સુધારણા’ અંગે સેમિનાર યોજાયો હતો. જેમાં વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, પંચમહાલ અને દાહોદ જિલ્લાના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં ધારાસભ્યોએ પોતાના વિધાનસભા મત વિસ્તારના વિવિધ સૂચનો કર્યા હતા. જિલ્લા કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે, આ સેમિનારથી મતદાર યાદી સુધારણા સંદર્ભે જનપ્રતિનિધિઓના લોકસંપર્ક અને અનુભવનો સહકાર મળવાથી કામગીરીની અસરકારકતામાં વધારો થશે. આ વિષય પર જનપ્રતિનિધિઓ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા અને રચનાત્મક સૂચનો દ્વારા મતદારોના પ્રશ્નોના નિકાલ અંગે ઉકેલના વધારે રસ્તાઓ મળશે. મતદાર યાદી સુધારણા અંગેના સેમિનારમાં ધારાસભ્યોએ મતદાર યાદી અને મતદાન મથક સંદર્ભે રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અંગે હકારાત્મક વલણ દાખવીને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ ધારાસભ્યોને ચૂંટણી પંચની જોગવાઈઓથી માહિતગાર કર્યા હતા તેમજ તેમના પ્રશ્નોનું વૈધાનિક જોગવાઈઓની મર્યાદામાં યોગ્ય ઉકેલ લાવવા માટે સંનિષ્ઠ પ્રયાસોની ખાતરી આપી હતી. મતદાર યાદી સુધારણા સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટેના તમામ સૂચનો પર કામ કરીશું અને ચૂંટણી પંચનું ધ્યાન દોરીશું, તેમ કલેકટરે ઉમેર્યું હતું. વડોદરા જિલ્લાના માસ્ટર ટ્રેનર અધિકારી દક્ષેણ મકવાણા દ્વારા ‘મતદાર યાદી’ તેમજ વી. કે. સાંબડ દ્વારા ‘મતદાન મથક’ વિષય પર તમામ પાસાઓને આવરીને વિસ્તૃત અને ઝીણવટપૂર્વક માહિતી પ્રસ્તુતિકરણથી સમજાવવામાં આવી હતી. ચૂંટણી પંચનું માળખું, મતદાર યાદી અને મતદાન મથક સંદર્ભે કાયદાકીય જોગવાઈઓ, અધિકારીઓની ભૂમિકા, જિલ્લા ચૂંટણી અધિકારી તંત્ર દ્વારા થતી કામગીરી તેમજ બુથ લેવલ ઓફિસર અને બુથ લેવલ એજન્ટ વચ્ચેના સંકલન અંગે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી. મહત્વનું છે કે, મુખ્ય ચૂંટણી અધિકારીના પત્રથી જાહેર હિસાબ સમિતિની બેઠકની ભલામણ અનુસાર ધારાસભ્યોને મતદારયાદી સુધારણા અંગે જરૂરી માહિતીથી અવગત કરવા માટે ઝોનવાર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાટણ જિલ્લામાં મોનસૂન દરમિયાન વાહક જનિત રોગોની અટકાયત માટે વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં મેલેરિયાના કેસોમાં ગત વર્ષની સરખામણીએ 29% નો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2024માં 17 કેસોની સામે 2025માં માત્ર 1 કેસ નોંધાયો છે. ડેન્ગ્યુના કેસોમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. 2024ના જૂન માસમાં 26 કેસની સરખામણીએ 2025માં માત્ર 1 કેસ નોંધાયો છે. ચાલુ વર્ષે ચિકુનગુનિયાનો એક પણ કેસ નોંધાયો નથી. આરોગ્ય વિભાગની ટીમો ઘરે-ઘરે જઈને તપાસ કરી રહી છે. ખુલ્લા પાત્રોમાં ટેમીફોસ અને ખાડા-ખાબોચિયામાં ડાયફ્લુબેન્ઝોરન દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. 9થી 21 જૂન દરમિયાન 3,52,718 ઘરોનું સર્વે કરવામાં આવ્યું. આ સર્વેમાં 1,770 પાત્રોમાં મળેલા મચ્છરના પોરાનો નાશ કરવામાં આવ્યો. પાટણ જિલ્લાના શહેરી વિસ્તારોમાં કુલ 13 વેક્ટર કંટ્રોલ ટીમો કાર્યરત છે. પાટણમાં 6, હારીજમાં 1, ચાણસ્મામાં 1, રાધનપુરમાં 2, વારાહીમાં 1 અને સિદ્ધપુરમાં 2 ટીમો કામ કરી રહી છે. 1 જુલાઈથી આ ટીમો પોરાનાશક અને બ્રીડિંગ નાશની કામગીરી કરી રહી છે. લોકોને પોતાના ઘરોમાં પાણી ભરાવાથી બચવા, ભંગાર અને ટાયરોનો યોગ્ય નિકાલ કરવા અપીલ કરવામાં આવી છે. મચ્છર કરડવાથી બચવા માટે પૂરી બાંયના કપડાં પહેરવા, મચ્છર રિપેલન્ટનો ઉપયોગ કરવા અને મચ્છરદાનીનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. જ્યાં મેલેરિયા કે ડેન્ગ્યુના કેસ મળે છે, ત્યાં 50 ઘરોમાં ફોગિંગ સહિતની વિશેષ કામગીરી કરવામાં આવે છે.
બનાસકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલા 'જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન-2025'ને સ્થાનિક વાસીઓએ સફળ બનાવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાંતીવાડા ખાતેથી 'જળ સંચય જન ભાગીદારી' અભિયાનની શરૂઆત કરી હતી. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના જણાવ્યા અનુસાર, બનાસકાંઠાના 14 તાલુકામાં બનાસ ડેરી અને લોકભાગીદારીથી 22 હજારથી વધુ રિચાર્જ શોષ કૂવાનું નિર્માણ થયું છે. છેલ્લા 72 કલાકમાં નોંધાયેલા સરેરાશ 40 મી.મી. વરસાદનું પાણી આ કૂવા મારફતે ભૂગર્ભમાં ઉતારવામાં આવ્યું છે. ધાનેરી ગામના ખેડૂત ઈશ્વર ચૌધરીએ પોતાના ખેતરમાં 46નો રિચાર્જ શોષ કૂવો બનાવ્યો છે. તેમના જણાવ્યા મુજબ, પહેલા ખેતરમાં ત્રણ અઠવાડિયા સુધી પાણી ભરાઈ રહેતું હતું, હવે 24 કલાકમાં જ પાણી ભૂગર્ભમાં ઉતરી જાય છે. જિલ્લા કલેકટરે ખેડૂતોને ખેત તલાવડી, રિચાર્જ વેલ અને રિચાર્જ કૂવા બનાવવા અપીલ કરી છે. આ અભિયાનથી ભવિષ્યમાં ભૂગર્ભ જળના તળ ઊંચા આવશે અને ખેડૂતોની સુખાકારીમાં વધારો થશે.
સમગ્ર ભારતમાં મોહરમ પર્વ પર તાજીયા નીકળે છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં હિન્દુના ઘરેથી સોનાચાંદીના ઝુલ્ફીકાર નીકળે છે.બગદાદના પીર સાહેબે આપેલા બે તલવાર બે જમૈયા, તીરકામઠુ અને પીરના પંજાને અદલમાન અપાય છે. આ ઝુલ્ફીકાર 150 વર્ષથી પાંચ-પાંચ પેઢીથી મોટાપીર ચોકમાં મકવાણા કુટુંબના ઘરેથી નીકળે છે. ત્યારે વઢવાણમાં ધાર્મિક તહેવારોને સામાજીક તહેવારો બનાવી કોમી એખાલસના રંગને વધુ ગાઢ બનાવ્યો છે. અરબસ્તાનની ધરતી બગદાદમાં પીર સાહેબે આપેલા હથિયારો ઝાલાવાડની ધરતીમાં સાચવાયાનો ઇતિહાસ જાણવા મળ્યો છે. વઢવાણના રાજપરના રાજપુનાના ધોબી અને પીજારા ત્રણેય મિત્રો સાથે હજ કરવા બગદાદ ગયા હતા. આ ત્રણેય મિત્રોએ બગદાદમાં પીરદાદની ઇબાદત કરી નિશાની આપવા દુઆ કરી હતી. આ ત્રણેય મિત્રોને તલવાર, સોનાનો પંજા તથા નિશાન બે જમૈયા ચારતીર કામઠાં આપ્યા હતા. પરંતુ આ મિત્રો આ હથિયારો સાચવી શક્યા ન હતા. ત્યારે વઢવાણ મોટાપીર ચોકમાં રહેતા વાઘજી મકવાણાના ઘરે બેસણા હતા. વાઘજીભાઇના અવસાન બાદ કરણસિંહ જેઓ ફકીરભાઇના હુલામણા નામથી પ્રખ્યાત હતા. તેઓની પાંચમી પેઢી આજે પણ મોહરમના પર્વમાં ઝુલ્ફીકારને માન-સન્માન સાથે લઇ જાય છે. મોહરમમાં 150 વર્ષથી તાજીયામાં પ્રથમ નિશાન હિન્દુઓના ઘરેથી નીકળે છે. નવરાત્રિમાં મુસ્લિમ ગરબા અને મોહરમમાં હિન્દુ મરશીયા ગાયઆ ઇતિહાસને સમર્થન આપતા પ્રતાપદાન ગઢવ અને કવિ કાસમભાઇએ જણાવ્યુ કે વઢવાણમાં નવરાત્રીમાં મુસલમાનો ગરબા ગાય છે. જ્યારે મોહરમમાં હિન્દુઓ મરશિયા ગાતા નજરે પડે છે. વઢવાણમાં પાંચ પેઢીથી હિન્દુના ઘરે સોના ચાંદીના ઝુલ્ફીકાર નીકળે છે. વઢવાણમાં ધાર્મિક તહેવારોને સામાજીક તહેવાર બનાવી દઇ વઢવાણના લોકો કોમી એકતાના રંગને વધુને વધુ ગાઢ બનાવ્યો છે. ઝુલ્ફીકાર એટલે શું? જાણો હકીકતયુદ્ધમાં લડવા માટે યોધ્ધાઓ જાય છે ત્યારે શરીરે બખ્તર સહિતના હથિયારો ધારણ કરે છે. જેમાં હિન્દુ ધર્મગ્રંથોમાં અક્ષયગાથામાં બાણ, તલવાર વગેરે હથિયાર રાખતા હતા. આજ રીતે મુસ્લિમ ધર્મમાં હથિયારો સાજે સજ્જ યોધ્ધાઓને ઝુલ્ફીકાર કહેવાય છે તેમ લોકસાહિત્યકાર પ્રતાપદાન ગઢવીએ જણાવ્યુ હતુ. અમારી પાંચ પેઢીથી પરંપરા અંકબંધવઢવાણના મોટાપીરના ચોકમાં રહેતા મકવાણા પરિવારે જણાવ્યુ કે 1963ની સાલમાં કોમી રમખાણ, 2002 ગોધરા કાંડ વગેરે ઘટના બની હોવા છતાં ઝુલ્ફીકાર નીકળ્યા છે. તાજીયા નીકળ્યા ન હતા છતાં ઝૂલ્ફીકાર અખંડ નીકળ્યા છે. વાઘજીભાઇ, જીજીબાઇ, કરણસિંહ, ફકીરભાઇ, સુરેશભાઇ સહિતના સક્રિય રહ્યા છે. અમારી પાંચમી પેઢીથી આ પરંપરા અંકબંધ રહી છે.
પાટણમાં વરસાદી માહોલ:બે દિવસથી સતત વરસાદી ઝાપટાં, આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા
પાટણ શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. શહેરમાં સતત વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. મધ્યમ ગતિના વરસાદથી લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. પાટણમાં આજે આખો દિવસ ધૂપ-છાંવનું વાતાવરણ રહ્યું. આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયેલા રહ્યા. દિવસ દરમિયાન ધીમી ધારે વરસાદ વરસ્યો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
ભરૂચ અને જંબુસર વિસ્તારમાં લાંબા વિરામ બાદ શનિવારે સાંજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભારે ઉકળાટ બાદ કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદની શરૂઆત થઈ હતી. આ વરસાદથી સમગ્ર વિસ્તારમાં શીતળતા પ્રસરી ગઈ છે. જંબુસર તાલુકામાં છેલ્લા સાત દિવસથી વાવણી કાર્ય અટકી ગયું હતું. આજે પડેલા વરસાદને ખેતી માટે અનુકૂળ માનવામાં આવી રહ્યો છે. જંબુસર ઉપરાંત મહાપુરાણ, મંગનાદ, કોરા, ટુંડજ અને કાવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે. વરસાદથી જમીનમાં ભેજ વધ્યો છે. આ વરસાદથી વાવણી માટે યોગ્ય વાતાવરણ બન્યું છે. કૃષિ વર્તુળોમાં આગામી દિવસોમાં વધુ વરસાદની આશા જાગી છે. વરસાદ ચાલુ રહેશે તો ખેતી કાર્યો વેગવંતા બનશે તેવી આશા ખેડૂતોએ વ્યક્ત કરી છે.
સુરતના લિંબાયત વિસ્તારમાં ચોંકાવનારો જાતીય સતામણીનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક 9 વર્ષીય નિર્દોષ બાળકી પર તેના સાવકા પિતા દ્વારા જાતીય સતામણી કરવામાં આવી હોવાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. બાળકીને મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવીને ચુંબન કરવાની સાથે અડપલાં કર્યા હતા.તદુપરાંત બાળકી શાળાએ જતી ત્યારે પણ આરોપી તેનો સતત પીછો કરતો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. હાલ પોલીસે ફરિયાદના આધારે આરોપી સાવકા પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મહિલા છ મહિના પહેલાં જ યુવકના પ્રેમમાં પડી અને નિકાહ કર્યાલિંબાયત વિસ્તારમાં રહેતી 34 વર્ષીય પરિણીતાએ થોડા સમય પહેલાં તેના પ્રથમ પતિ સાથે છૂટાછેડા લીધા હતા. બે સંતાનોની માતા છ મહિના પહેલાં લિંબાયત વિસ્તારમાં જ રહેતા 19 વર્ષીય સાદીલ (નામ બદલ્યું છે) નામના યુવકના પ્રેમમાં પડી હતી. ઉંમરના તફાવતને ધ્યાને લીધા વગર જ બંનેએ નિકાહ કરી લીધા હતા અને મહિલા તેના બંને સંતાનો સાથે યુવકના ઘરે રહેવા આવી ગઈ હતી. જોકે, આ સંબંધ માત્ર શારીરિક આકર્ષણથી ઉદ્ભવ્યો હોવાથી તેનો પણ અંત થોડા સમયમાં જ આવી ગયો. મહિલા થોડા દિવસો પહેલા જ તેના સંતાનોને લઈને તેની માતાના ઘરે રહેવા જતી રહી હતી. આ દરમિયાન ગુરુવારે તે તેની નવ વર્ષીય પુત્રીને લઈને લિંબાયત પોલીસ મથકે પહોંચી હતી. બાળકી શાળાએ જતી ત્યારે પણ આરોપી સતત પીછો કરતો હોવાના આક્ષેપબાળકીએ પોલીસને જણાવ્યું કે, 11મી મેના રોજ સવારે તે બાથરૂમમાંથી નાહીને બહાર આવીને કપડાં પહેરવા જતી હતી ત્યારે તેના સાવકા પિતા સાદીલે તેને પકડીને ખોળામાં બેસાડી દીધી હતી. તેણે પોતાના મોબાઈલમાં અશ્લીલ વીડિયો ચાલુ કરીને બાળકીને ચુંબન કરવાની સાથે અડપલાં કર્યા હતા. ફક્ત આટલું જ નહીં આરોપીએ બાળકીને કોઈને પણ આ વાત કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બાળકી શાળાએ જતી ત્યારે પણ આરોપી તેનો સતત પીછો કરતો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરીડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, આ ગંભીર ફરિયાદને પગલે લિંબાયત પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી સાદીલની ધરપકડ કરી છે. સબ ઇન્સ્પેક્ટર ડી.આર. ઓડેદરા આ કેસની વધુ તપાસ હાથ ધરી રહ્યા છે.
Gopal Khemka Murder Case: બિહારના મોટા વેપારી અને ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની પટનામાં તેના જ એપાર્ટમેન્ટની સામે હત્યા કરી દેવાતા ખળભળાટ મચ્યો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. વીડિયોમાં એક શૂટર એપાર્ટમેન્ટના ગેટની બહાર તેના આવવાની રાહ જોતો જોવા મળી રહ્યો છે. હેલ્મેટ પહેરેલો હત્યારો રાત્રે 11:38 વાગ્યે ખેમકાને 6 સેકન્ડમાં ગોળી માર્યા બાદ એક સ્કૂટીથી ફરાર થઈ ગયો.
પાટણની ઐતિહાસિક રાણકી વાવ ખાતે સ્વચ્છતા પખવાડા 2025 અંતર્ગત એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ઓએનજીસી મહેસાણા એસેટ અને મોતીભાઈ ચૌધરી ફાઉન્ડેશન મહેસાણાના સંયુક્ત ઉપક્રમે 1 જુલાઈથી 15 જુલાઈ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. રાણકી વાવ ખાતે પ્લાસ્ટિક વીણવાની અને સફાઈની સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વન વિભાગ પાટણના માર્ગદર્શન હેઠળ 'એક પેડ માં કે નામ' અંતર્ગત વાવના પટાંગણમાં વિવિધ પ્રકારના રોપાઓનું વાવેતર કરાયું. આ કાર્યક્રમમાં ગુલમહોર, ઉંબરો, જાંબુ, જામફળ, કાંચનાર, ગુલાબ અને મોગરો સહિત 115 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું. કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષક એન.જે. પરમાર, મદદનીશ વન સંરક્ષક ટી.એચ. ચૌધરી, પરીક્ષેત્ર વન અધિકારી પી.એમ. ચૌધરી, ઓએનજીસી મહેસાણાના ઈડી સુનીલકુમાર, પુરાતત્વ વિભાગના પ્રમોદ ચાહર અને શિવકાંત ભારતી, મોતીલાલ ચૌધરી ફાઉન્ડેશનના નિયામક વિજયભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વનપાલ એલ. દેસાઈ, વી.એસ. ઠાકોર, વી.એસ. ઈટોલીયા તેમજ વન રક્ષકો એસ.એસ. પરમાર, એચ.પી. પટેલ, શ્રીમતી એ.એસ. ચૌધરી અને બી.એન. ચૌધરી પણ હાજર રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાત સહિત ભારતભરમાં ચાલી રહેલા ‘મેદસ્વિતા મુક્ત’ અભિયાનમાં સ્વયંભૂ રીતે નાગરિકો જોડાઇ રહ્યા છે. વર્તમાનમાં નાના-નાના બાળકોમાં ચોકલેટ તેમજ ખાંડ ઉપરાંત મીઠી વાનગીઓ ખાવાનું પ્રમાણ વધી રહ્યું છે. સમગ્ર દેશમાં બાળકોમાં ટાઇપ-2 ડાયાબિટીસનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. આ ચિંતાજનક વલણ મુખ્યત્વે ખાંડના વધુ પડતા સેવનના કારણે થાય છે. ખાંડનો વધુ પડતો વપરાશ માત્ર ડાયાબિટીસનું જોખમ જ નહીં પરંતુ સ્થૂળતા, દાંતની સમસ્યાઓ અને અન્ય મેટાબોલિક વિકૃતિઓમાં પણ વધારો કરે છે. ખાંડનું વધુ પડતું સેવન બાળકોના સ્વાસ્થ્ય અને શિક્ષણને લાંબા સમયે અસર કરે છે. બાળકો ખાંડનું સેવન ઓછુ કરે તે માટે શાળા કક્ષાએ ‘સુગર બોર્ડ’ લગાવવામાં આવશે એમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવાયું છે. શાળા કક્ષાએ યોગ્ય જગ્યાએ સુગર બોર્ડ' લગાવવાનું રહેશેઆ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં બાળકોના ખાંડના ઉપયોગને ધ્યાને લઈને એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં શાળા કક્ષાએ યોગ્ય જગ્યાએ સુગર બોર્ડ' લગાવવાનું રહેશે. જેમાં વિદ્યાર્થીઓને વધુ પડતા ખાંડના સેવનના જોખમો વિશેની માહિતી આપવામાં આવશે. આ બોર્ડમાં દૈનિક ખાંડનું સેવન, સામાન્ય રીતે ખાવામાં આવતા ખોરાકમાં ખાંડનું પ્રમાણ, બિનઆરોગ્યપ્રદ ખોરાક જેમ કે, જંક ફૂડ, ઠંડા પીણાં, વગેરેની નોંધ રાખવામાં આવશે. ઉપરાંત વધુ પડતા ખાંડના સેવન સાથે સંકળાયેલા સ્વાસ્થ્ય જોખમો અને આરોગ્યપ્રદ આહાર જેવી આવશ્યક માહિતી શાળા કક્ષાએથી વિદ્યાર્થીઓને પ્રદાન કરવાની રહેશે. જેથી વિદ્યાર્થીઓ ખોરાકની પસંદગી વિશેની જાણકારી મેળવે અને તેમના લાંબા ગાળાના સ્વાસ્થ્ય લાભોને પ્રોત્સાહન મળી શકે. રોજિંદા જીવનમાં ખાંડનો વધુ પડતો ઉપયોગ ન કરવા અંગે શાળા કક્ષાએ જાગૃતિ સેમિનાર તેમજ વર્કશોપનું આયોજન પણ કરવાનું રહેશે. બાળકો 5 ટકાને બદલે બમણો ખાંડનો ઉપયોગ કરે છેઉલ્લેખનીય છે કે, એક અભ્યાસ પ્રમાણે 4 થી 10 વર્ષની વયના બાળકો અત્યારે સરેરાશ દૈનિક કેલરીના સેવનમાં 13 ટકા જેટલી અને 11 થી 18 વર્ષની વયના બાળકો 15 ટકા જેટલી ખાંડનો ઉપયોગ કરે છે. ખરેખર ખાંડનો ઉપયોગ 5 ટકા થવો જોઈએ તેના બદલે બાળકોમાં ખાંડનો ઉપયોગ ખૂબ વધી રહ્યો છે. અત્યારે સરળતાથી ઉપલબ્ધ ખાંડવાળા નાસ્તા, પીણાં અને પ્રોસેસ્ડ ખોરાકનું સેવન વધી રહ્યું છે જે બાળકોના સ્વાસ્થ્ય માટે ચિંતાજનક છે. શાળા કક્ષાએ સુગર બોર્ડ લગાવવાથી બાળકો-વિદ્યાર્થીઓમાં આ અંગે વધુમાં વધુ જાગૃતિ આવશે.
ગાંધીનગર મહાનગરપાલિકાની બાગાયત શાખાએ શનિવારે સેક્ટર-22માં આવેલા પંચદેવ મંદિર સામે સિંદુર વનનું નિર્માણ કર્યું છે. 'એક પેડ માં કે નામ 2.0' અને 'કેચ ધ રેઈન' પહેલ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 7000 ચોરસ મીટર વિસ્તારમાં 5000 સિંદુરના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વન ભારતીય સેનાના 'ઓપરેશન સિંદુર'ની સફળતા અને સૈનિકોની શૌર્યગાથાની યાદગીરી રૂપે વિકસાવવામાં આવ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં સિંદુરનું આધ્યાત્મિક મહત્વ છે. ભગવાન હનુમાનને સિંદુર પ્રિય હોવાથી શનિવારે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ, મ્યુનિસિપલ કમિશનર જે.એન.વાઘેલા સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ગાંધીનગરને વધુ લીલુંછમ બનાવવાનો અને જૈવવિવિધતા વધારવાનો છે. સાથે જ ભારતીય સેનાના જવાનોના સાહસને બિરદાવવા અને લોકોને વૃક્ષારોપણ માટે પ્રેરિત કરવાનો પણ હેતુ છે.
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10માં સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટ ખાતે મહિલાઓ માટે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. કાર્યક્રમની અધ્યક્ષતા ડેપ્યુટી મેયર ક્રિશ્નાબેન સોઢાએ કરી હતી. સામાજિક કાર્યકર પ્રેક્ષાબેન ભટ્ટે ઘરેલું હિંસા અધિનિયમ 2005 વિશે માહિતી આપી. પી.એસ.આઈ. એચ.કે. ઝાલાએ સાયબર ક્રાઈમ અને સોશિયલ મીડિયા દ્વારા થતા ગુનાઓ અંગે વિસ્તૃત સમજ આપી. કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનોને કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો. પૂજાબેન ડોડીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો હાજર રહ્યા. કોર્પોરેટર પાર્થભાઈ જેઠવા અને મુકેશભાઈ માતંગ, દહેજ પ્રતિબંધક અધિકારી સોનલબેન વર્ણાગર સહિત વિવિધ વિભાગોની ટીમો ઉપસ્થિત રહી હતી. સાયબર ક્રાઈમ બ્રાન્ચ, ડિસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન, સખી વન સ્ટોપ સેન્ટર અને PBSC, VMK ટીમના સભ્યો પણ કાર્યક્રમમાં જોડાયા. મોટી સંખ્યામાં મહિલાઓની હાજરીથી જાગૃતિ શિબિર સફળ રહ્યો. કાર્યક્રમનું સંચાલન ડિસ્ટ્રીક કોર્ડિનેટર બંસીબેન ખોડીયારે કર્યું હતું.
હિંમતનગરના કાંકરોલ પાસે ચાર દિવસ પહેલા બુધવારે એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત સર્જાયો હતો. પેઢમાલા ગામના સચિનભાઈ ચૌહાણ તેમના 10 વર્ષીય પુત્ર આયુષને બાઈક પર બેસાડી માતાની દવા લેવા હિંમતનગર સિવિલ હોસ્પિટલ જઈ રહ્યા હતા. કાંકરોલ પાસેથી પસાર થતી વખતે એક અજાણ્યા વાહને તેમની બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતમાં પિતા-પુત્ર બંને જમીન પર પટકાયા અને ગંભીર રીતે ઘવાયા હતા. બંનેને તાત્કાલિક હિંમતનગરની પ્લુટો હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. શુક્રવારે રાત્રે સારવાર દરમિયાન આયુષનું મૃત્યુ થયું. સચિનભાઈની સારવાર હજુ ચાલુ છે. હિંમતનગર એ-ડિવિઝન પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઈ તપાસ શરૂ કરી છે. આયુષના મૃતદેહને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો. પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો.
ગોધરા રેલવે પોલીસની કામગીરી:રેલવે મિલકત ચોરીના 5 કેસમાં ફરાર બે સગા ભાઈઓની ધરપકડ, 17 ગુનામાં સંડોવણી
ગોધરા રેલવે પોલીસે સિગ્નલ ફળિયા વિસ્તારમાંથી બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ સલીમ શેખના પુત્રો હુસૈન અને હસન (બંને 25 વર્ષ) છે. બંને આરોપીઓ સામે કુલ 16 પકડ વોરંટ હતા. આરોપીઓ રેલવે મિલકતની ચોરીના 5 કેસમાં ફરાર હતા. તેમની વિરુદ્ધ ગોધરા રેલવે પોલીસ મથકમાં 15થી વધુ ગુના નોંધાયેલા છે. એક-એક ગુનો મેઘનગર અને આણંદ પોલીસ મથકમાં નોંધાયેલો છે. ખરસાલિયામાં રેલ ગાડીમાં થયેલી લૂંટના કેસમાં પણ તેઓ સંદિગ્ધ છે. આ કામગીરી Sr. DSC/RPF/વડોદરા અને ઇન્સ્પેક્ટર ગોધરાના માર્ગદર્શન હેઠળ થઈ છે. SIPF અજિત સિંહ યાદવ, SIPF ભૂરસિંહ અને RPF સ્ટાફે આ કામગીરી અંજામ આપી છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
આહીર સમાજનો આક્ષેપ:હીરા જોટવાની ધરપકડ રાજકીય કિન્નાખોરીથી થઈ, નિષ્પક્ષ તપાસની માંગ
પાટણ જિલ્લા આહીર સમાજે રાધનપુર નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. સમાજના અગ્રણી હીરા જોટવાની ધરપકડ મામલે રાજકીય કિન્નાખોરીનો આરોપ મૂક્યો છે. આહીર સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું કે હીરા જોટવા સમાજના સન્માનનીય આગેવાન છે. તેમની ધરપકડ પાછળ રાજકીય ઈરાદા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ ધરપકડથી સમગ્ર સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે. આવેદનપત્રમાં ઉચ્ચ કક્ષાની અને નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે. સમાજના આગેવાનોનું કહેવું છે કે તપાસથી સત્ય બહાર આવશે અને હીરાભાઈને ન્યાય મળશે. જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
બાયો-મેડિકલ વેસ્ટ નિકાલ મામલે કાર્યવાહી:ગાંધીનગરમાં લેબોરેટરી સંચાલકો પાસેથી ₹15 હજારનો દંડ વસૂલાયો
ગાંધીનગર શહેરના સેક્ટર-29માં જાહેર માર્ગો પર બાયો-મેડિકલ વેસ્ટના અયોગ્ય નિકાલનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહાનગરપાલિકાએ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, કુડાસણ વિસ્તારમાં લેબોરેટરી ચલાવતા લોકોએ આ જોખમી કચરાનો નિકાલ કર્યો હતો. મહાનગરપાલિકાએ આ કચરાનો નિયમ મુજબ યોગ્ય નિકાલ કરાવ્યો છે. જાહેર સ્વાસ્થ્ય અને પર્યાવરણને જોખમમાં મૂકનારા લેબોરેટરી સંચાલકો પાસેથી મહાનગરપાલિકાએ 15 હજાર રૂપિયાનો વહીવટી દંડ વસૂલ કર્યો છે. મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે, શહેરની સ્વચ્છતા અને પર્યાવરણ સુરક્ષા માટે તેઓ કટિબદ્ધ છે. ભવિષ્યમાં જોખમી કચરાના અયોગ્ય નિકાલ સામે કડક પગલાં લેવાશે. જવાબદાર વ્યક્તિઓ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
બિલખા ગામે 128 વર્ષથી કાર્યરત આનંદ આશ્રમમાં ગંભીર વિવાદ ઊભો થયો છે. આ આશ્રમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ટ્રસ્ટી મંડળ સામે કરોડોની સંપત્તિ ગેરવહીવટ અને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. આક્ષેપો મુજબ, ગુરુદેવ નથુરામ શર્મા દ્વારા સ્થાપિત આ આશ્રમમાં હાલના ટ્રસ્ટીઓએ દાનમાં મળેલી મિલકતો અને રોકડ રકમ પોતાના સ્વાર્થી હિત માટે ઉપયોગ કરી છે. આ મુદ્દે જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તાત્કાલિક પગલાં લેવા માગ કરવામાં આવી છે. ગુરુદેવની પરંપરાનો ભંગભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ જણાવ્યું કે આ આશ્રમની સ્થાપના વૈદિક આચાર્ય નથુરામ શર્માએ બ્રાહ્મણ ઋષિ કુમારોને ધાર્મિક શિક્ષણ, સંસ્કૃત પાઠશાળા, યોગ અને જ્યોતિષ જેવી પરંપરાગત પ્રવૃત્તિઓ માટે કરી હતી. ગુરુદેવના નિયમો અનુસાર આશ્રમની સંપત્તિ વેચી શકાતી નથી, પરંતુ આજે ટ્રસ્ટીઓએ આ પરંપરાનો ભંગ કર્યો છે. રાજકોટની સત્સંગ મંડળની બહેનો દ્વારા આશ્રમને દાનમાં આપવામાં આવેલી અંદાજે 7.5 કરોડની સંપત્તિ ટ્રસ્ટીઓએ હડપ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગેરવહીવટના આક્ષેપોવિદ્યાર્થીઓએ વધુમાં જણાવ્યું કે ગુરુદેવ દ્વારા નિર્ધારિત વહીવટ, ભોજન વ્યવસ્થા અને પાઠશાળાના નિયમો માત્ર કાગળ પર જ રહી ગયા છે. ટ્રસ્ટીઓએ વિધાર્થીઓની રજૂઆતોને અવગણતા, આશ્રમની સંપત્તિને પોતાની વ્યક્તિગત મિલકત સમજી વેચાણ કરી નાખી છે. આ ઘટનાએ આશ્રમના શ્રદ્ધાળુઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી ફેલાવી છે. ટ્રસ્ટી મંડળનો જવાબઆક્ષેપો અંગે ટ્રસ્ટી જીતુ ભીંડીએ જણાવ્યું કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સાધક વર્ગને આશ્રમ સંચાલન અંગે નારાજગી છે. તેમણે કહ્યું કે થોડા દિવસો પહેલાં તમામ સાધક વર્ગને મેસેજ મોકલી સૂચનો અને ફરિયાદો માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો આક્ષેપો સાચા નીકળે, તો તેઓ ટ્રસ્ટીઓના સાથીદારો નહીં, પરંતુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સાથીદારો બનશે.તેમણે ઉમેર્યું કે ટ્રસ્ટીઓ માત્ર વ્યવસ્થાપક છે અને ગુરુદેવના બંધારણને કોઈ બદલાવી શકતું નથી. જો ગેરકાયદેસર વહીવટ થયો હોય, તો તે સામે તેઓ ઊભા રહેશે. વિવાદના ઉકેલ માટે કાયદાકીય પગલાંની ચીમકીવિદ્યાર્થીઓએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ઉકેલ નહીં આવે, તો તેઓ આ મામલે ઉચ્ચ કોર્ટમાં જાહેરહિતમાં અરજી કરશે. તેઓએ જણાવ્યું કે આ સંપત્તિ વ્યક્તિગત નથી, પરંતુ હજારો શ્રદ્ધાળુઓ અને ગુરુદેવની જાગીર છે. ધાર્મિક સંસ્થાઓમાં પારદર્શકતા પર ચર્ચાઆ વિવાદથી જૂનાગઢ જિલ્લામાં ધાર્મિક સંસ્થાઓમાં પારદર્શક વહીવટ અને ટ્રસ્ટી મંડળની જવાબદારી અંગે ચર્ચાઓ તેજ થઈ છે. આ વિવાદે આશ્રમોની વ્યવસ્થામાં સુધારાની જરૂરિયાતને ફરી એકવાર પ્રકાશમાં લાવી છે.
રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલી રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં ગાયોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. વરસાદ શરૂ થયો ત્યારથી ગૌશાળા કાદવ-કીચડ અને ગૌમૂત્રથી ભરાઈ ગઈ છે, જેના કારણે ગાયોને બેસવા કે ઊભા રહેવા માટે પણ સ્વચ્છ જગ્યા નથી મળી રહી. અહીં ગાયોને બેસવા માટે યોગ્ય જગ્યા નથી, પીવા માટે સ્વચ્છ પાણી નથી અને ઊભું રહેવા માટે પણ જગ્યા નથી. સદંતર એટલી હદે ખરાબ હાલત છે કે તેની કોઈ સીમા નથી. એક પણ ગાય સારી રીતે બેસી શકે તેવી પરિસ્થિતિ નથી. ગાયો બેસી પણ નથી શકતીઃ સમાજસેવકસમાજસેવક મેહુલ ધોળકિયાએ આ મામલે જણાવ્યું હતું કે, અહીં ઉપસ્થિત રેલનગરમાં આવેલ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત ખાનગી ગૌશાળાની હાલત અત્યંત ખરાબ છે. ગાયો ઊભી નથી રહી શકતી કે બેસી નથી શકતી. એટલું બધું ગોબર અને ગૌમૂત્ર ભરાયેલું છે કે જેની કોઈ સીમા નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, નાના વાછરડાઓના પગ પણ કાદવમાં ડૂબેલા છે. જો રાજકોટ મહાનગરપાલિકા ગાયોની સાચવણી જ ન કરી શકતી હોય તો તેમને પકડે છે શા માટે? રાજકોટ મહાનગરપાલિકાને એટલું જ જણાવવાનું છે કે, બને તેટલી વહેલાસર આ ગૌશાળાને સાફ કરવામાં આવે અને ગૌમાતાને રહેવા માટેની યોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે. વહેલી તકે સફાઈ કરવા લોકોની માગઆ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રશાસન દ્વારા તાત્કાલિક આ મામલે પગલાં ભરવામાં આવે અને ગૌમાતાઓને સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. લોકો દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે બને તેટલી વહેલાસર આ ગૌશાળાને સ્વચ્છ કરવામાં આવે અને ગૌમાતાને રહેવા માટેની યોગ્ય સગવડ પૂરી પાડવામાં આવે. જો મહાનગરપાલિકા ગાયોની સાચવણી કરી શકતી ન હોય તો તેમને પકડવાનું બંધ કરવું જોઈએ. ટૂંક સમયમાં લોડર દ્વારા સફાઈ કરાશેઃ અધિકારીઆ મામલે મહાનગરપાલિકાનાં અધિકારી ઉપેન્દ્ર પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, રેલનગરમાં એનિમલ હોસ્ટેલ છે. ત્યાં માલધારીઓ પોતાના પશુઓ રાખે છે. કોર્પોરેશન દ્વારા પશુઓ પકડીને ત્યાં રાખવામાં આવતા નથી. ત્યાં મેટલિંગ રોડ છે, જેને લઈને બે-ત્રણ દિવસે સફાઈ કરવામાં આવતી હોય છે. પણ વરસાદના કારણે સફાઈ થઈ નથી. ત્યાં લીલું નાખવા આવતા લોકો પણ એમ જ નાખીને જતા રહે છે. જેના કારણે બધી ગાયો ત્યાં એકઠી થતા મેટલિંગનાં રોડમાં વધુ કાદવ-કીચડ થઈ જાય છે. છતાં આપના માધ્યમથી આ બાબત ધ્યાનમાં આવતા તરત જ સફાઈ કરવાના આદેશો આપી દેવામાં આવ્યા છે. ટૂંક સમયમાં લોડર દ્વારા સફાઈ કરવામાં આવશે.
સુરતમાં શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો સુરત શહેર સાયબર ક્રાઈમ સેલે પર્દાફાશ કર્યો છે. આ ગેંગે 235 કરોડથી વધુના બેંક ટ્રાન્ઝેક્શન અને અંદાજિત 100 કરોડના 'આંગડિયા' વ્યવહાર દ્વારા લોકોને શિકાર બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં આ છેતરપિંડીનો વ્યાપ એટલો મોટો છે કે, જે બેંક એકાઉન્ટ મળ્યા છે તેની સામે દેશભરના 26 રાજ્યોમાં આ ગેંગ વિરુદ્ધ ફરિયાદો નોંધાઈ છે. છેતરપિંડીની મોડસ ઓપરેન્ડીઆ ઠગ ગેંગ 'IV Trade (ઇનોવેટિવ ટ્રેડ)' અને 'Sky Growth Wealth Management' જેવી બોગસ કંપનીઓ ઊભી કરીને લોકોને શેરબજારમાં રોકાણ કરવાથી અકલ્પનીય વળતર મળશે તેવી લોભામણી વાતો કરતી હતી. તેઓ રોકાણકારોને દર મહિને 7% થી 11% જેટલું આકર્ષક રીટર્ન આપવાની લાલચ આપતા.આ સ્કીમમાં ઓછામાં ઓછા 18 મહિના સુધી રોકાણ કરવું ફરજિયાત હતું. દુબઈથી નેટવર્ક ચાલતું હતું. કુલ 11,000 લોકો સ્કીમ સાથે જોડાયેલા છે. આ છેતરપિંડીનો મૂળભૂત પાયો મલ્ટિ-લેવલ માર્કેટિંગ (MLM) પિરામિડ સ્કીમ પર આધારિત હતો. જે ગ્રાહકો અન્ય નવા ગ્રાહકોને આ કંપનીમાં રોકાણ કરવા માટે આકર્ષિત કરતા, તેઓને કંપની તરફથી તેમના રેન્ક મુજબ બોનસની લાલચ આપવામાં આવતી. આ રેન્ક નીચે મુજબ હતા: પોલીસે રાજકોટ અને સુરતમાં દરોડા પાડી કાર્યવાહી કરીસુરત સાયબર ક્રાઈમ સેલ દ્વારા ગત તા. 21 જૂન ના રોજ વીઆઈપી સર્કલ પાસે, ઉત્રાણ, સુરત શહેર ખાતે આવેલી IV Trade (ઇનોવેટિવ ટ્રેડ) ની ઓફિસ નંબર 914, બિલ્ડિંગ બી, પ્રગતિ આઈ.ટી. પાર્ક પર ખાનગી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. આ રેડ દરમિયાન ગુનાહિત પ્રવૃત્તિઓ જણાતા, રાજકોટ ખાતે શીતલ પાર્ક ચોક, 150 ફૂટ રિંગ રોડ પર આવેલી Sky Growth Wealth Management ની ઓફિસ નંબર 1123, 11મા માળ, ધ સ્પાયર-2 પર પણ દરોડો પાડવામાં આવ્યો.આ તપાસના આધારે, સાયબર ક્રાઈમે ધી પ્રાઈઝ ચીટ મની સર્ક્યુલેશન સ્કીમ બેનિંગ એક્ટની કલમ-4, 5, 6 તથા આઈ.ટી. એક્ટની કલમ-66(ડી) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે જેમાં ડેનીશ ઉર્ફે હેમલ નવીનચંદ્ર દયાલાલ ધાનક (ઉંમર 38, ધંધો-વેપાર, રહે. રાજકોટ. મૂળ ગામ-ધ્રાપા, તા. જી. ભાવનગર), જયસુખભાઈ રામજીભાઈ જાદવભાઈ પટોળીયા (ઉંમર 44, ધંધો-એજન્ટ, રહે. સુરત. મૂળ ગામ-પ્રેમપરા, તા.-ધારી, જી. અમરેલી), યશકુમાર કાળુભાઈ રામજીભાઈ પટોળીયા (ઉંમર 25, ધંધો-વેપાર, રહે. સુરત. મૂળ ગામ-પ્રેમપરા, તા.-ધારી, જી. અમરેલી) સામેલ છે. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝીયાએ માહિતી આપતા જણાવ્યું કે, મુખ્ય આરોપી ડેનિશ તેના પિતા નવીનભાઈ અને ભાઈ દિપેન નવીનચંદ્ર ધાનક સાથે મળીને આ ધંધો ચલાવતો હતો. હાલમાં, અલ્પેશ લાલજીભાઈ વઘાસીયા, દિપેન નવીનચંદ્ર ધાનક, નવીનચંદ્ર દયાલાલ ધાનક, ઝરીત હિતેશભાઈ ગોસ્વામી, સૌરવ જયેશભાઈ સાવલીયા, હરીશ મકવાણા, વિપુલકુમાર કાંતિભાઈ સાવલીયા, તરૂણભાઈ, વિશાલ ગૌરાંગભાઈ દેસાઈ, બંટી પરમાર અને મયુર સોજીત્રા જેવા અન્ય આરોપીઓ ફરાર છે. જયસુખ પટોળીયા અને યશ રામજીભાઈ પટોળીયા ડમી એકાઉન્ટ ખોલાવીને લોકો પાસેથી કરોડો રૂપિયા મેળવતા હતા. પોલીસે સુરત અને રાજકોટ ખાતેથી સર્ચ ઓપરેશન દરમિયાન નોંધપાત્ર માત્રામાં મુદ્દામાલ કબજે કર્યો છે: સુરત ખાતેથી જપ્ત કરાયેલો મુદ્દામાલ: રાજકોટ ખાતેથી જપ્ત કરાયેલો મુદ્દામાલ (આરોપી ડેનીશ ઉર્ફે હેમલ નવીનચંદ્ર ધાનક પાસેથી): પોલીસ તપાસ દરમિયાન મળી આવેલા બેંક એકાઉન્ટ્સના આધારે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર તપાસ કરતા આશ્ચર્યજનક વિગતો સામે આવી. આ બેંક એકાઉન્ટ્સ પર દેશના 26 જેટલા રાજ્યોમાં ફરિયાદો નોંધાઈ છે, જેમાં બિહાર, હરિયાણા, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, કેરલા, મણિપુર અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે. આરોપીઓના વિવિધ બેંક ખાતાઓમાં કુલ 235 કરોડ ના ટ્રાન્ઝેક્શનો થયા હોવાની હકીકત જણાઈ આવી છે. આ ઉપરાંત, 'આંગડિયા' મારફતે આશરે 100 કરોડની આસપાસના નાણાકીય વ્યવહારો પણ મળી આવ્યા છે. આ લોકો મોટા પાયે છેતરપિંડી કરતા હોવાનું સ્પષ્ટ થયું છે. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝીયાએ વધુમાં જણાવ્યું કે, લગભગ 11 હજારથી પણ વધુ લોકો આ છેતરપિંડીની સ્કીમમાં જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે કેટલાક મુખ્ય સૂત્રધારો દુબઈ નાસી ગયા હોવાનું પણ સામે આવ્યું છે, જેના પગલે પોલીસ તેમને ઝડપી પાડવા માટે વધુ તપાસ કરી રહી છે. આ ઘટના ભારતમાં સાયબર ફ્રોડ અને નાણાકીય છેતરપિંડીના વધતા જતા જોખમને ફરી એકવાર ઉજાગર કરે છે.
સુરતના સિંગણપોર વિસ્તારમાં રામકથા રોડ પર રહેતા કેટલાક મજૂરો ઝુપડા બાંધી વસવાટ કરે છે. રાત્રિના સમયગાળા દરમિયાન કોઈ અજાણયો શખસ એક ઝૂંપડામાં ઘૂસી ગયો હતો અને ઝુંપડામાં માતાની બાજુમાં સૂતેલી સાત વર્ષની માસુમ બાળકીનું અપહરણનો પ્રયાસ કર્યો હતો. આ સાથે માસુમ બાળકીએ પહેરેલ સ્કર્ટ કાઢી નાખી તેની છેડતી કરી હતી. જેથી ભોગ બનનાર બાળકી જાગી જતા યુવક ભાગી ગયો હતો. બનાવને પગલે બાળકીની માતાએ સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે, સિંગણપોર વિસ્તારમાં રામકથા રોડ ઉપર તાપી નદીના કિનારે કાંઠા ઉપર કેટલાક લોકો ઝૂંપડા બાંધી વસવાટ કરે છે. ગત રોજ રાત્રે 10 વાગ્યાના અરસામાં ઝૂંપડામાં રહેતા પરિવારો સૂતા હતા. ત્યારે 25થી 35 વર્ષની ઉંમરનો એક અજાણ્યો યુવક અચાનક જ એક ઝૂંપડામાં ઘૂસી ગયો હતો. જ્યાં મહિલાના પડખામાં સૂતેલી તેમની સાત વર્ષની બાળકીનું અપહરણનો પ્રયાસ કર્યો હતો. પરંતુ માસુમ બાળકીના કમરથી નીચે પહેરેલા કપડાં ઉતારી નાખી છેડતી કરી હતી. આખરે માસુમ બાળકી જાગી જતા તેને બૂમાબૂમ કરી હતી. બાળકીનો અવાજ આવતાની સાથે જ તેની માતા પણ જાગી ગઈ હતી. જેથી તેનો અપહરણ કરવાનો પ્રયાસ કરનાર યુવક તેને મૂકીને ભાગી ગયો હતો. બનાવને પગલે તેઓએ તાત્કાલિક સિંગણપોર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ તો આ સમગ્ર બનાવવામાં પોલીસે માસુમ બાળકીની માતાની ફરિયાદ લઈ અજાણ્યા યુવક સામે અપહરણનો પ્રયાસ સાથે છેડતીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પંચમહાલ જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે ગોધરા કલેક્ટર કચેરીના સભાખંડમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં માર્ગ સલામતી અંગે વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટર દહિયાએ સંબંધિત વિભાગોને કેટલાક મહત્વના નિર્દેશો આપ્યા હતા. તેમાં ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો કરવો, જોખમી વળાંકો પર રિફ્લેક્ટર લગાવવા, બ્લેક સ્પોટની ઓળખ કરવી અને બેદરકાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવાનો સમાવેશ થાય છે. વધુમાં, જાહેર માર્ગો પર અનુસરવાના માપદંડો અને ટ્રાફિકના નિયમો વિશે લોકોમાં જાગૃતિ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, નિવાસી અધિક કલેક્ટર જે.જે.પટેલ અને વિવિધ પ્રાંત અધિકારીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર જિલ્લામાં માર્ગ સલામતીના નિયમોનું કડક પાલન થાય અને નાગરિક સુરક્ષાના માપદંડો જળવાય તે માટે સર્વગ્રાહી આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગર જિલ્લા પોલીસ દળમાં મોટી સંખ્યામાં બઢતીઓની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા પોલીસવડાએ 5 હેડ કોન્સ્ટેબલોને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) તરીકે બઢતી આપી છે. સાથે જ 11 કોન્સ્ટેબલોને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે. ASI તરીકે બઢતી પામનારા અધિકારીઓમાં મહિપાલસિંહ મયુરસિંહ જાડેજા,વિરેન્દ્રસિંહ પરબતસિંહ જાડેજા,ધવલગીરી પ્રવિણગીરી ગુંસાઇ, સુરેશગર પ્રતાપગર ગુંસાઇ અને મહેશકુમાર રાજસીભાઇ ડાંગરનો સમાવેશ થાય છે. હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી મેળવનારા કોન્સ્ટેબલોમાં ચંદ્રેશ છગનભાઇ પરમાર, દેવેન્દ્રસિંહ ગણપતસિંહ જાડેજા, હરદિપસિંહ મંગુભા જાડેજા, દર્શિત જગદિશભાઇ સીસોદીયા, લાલજી ગોબરભાઈ રાતડીયા, જયપાલ ડાયાભાઇ મેર, જતીન દેવદાનભાઈ ગોગરા, અક્વિન મનસુખભાઈ પરમાર, મેઘરાજસિંહ જયદેવસિંહ જાડેજા, જયદિપસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા અને સુમિત હિરાભાઈ શિયારનો સમાવેશ થાય છે. આ બઢતીઓ ROP-2016ના પે મેટ્રિક્સ લેવલ-4 (ASI માટે) અને લેવલ-3 (હેડ કોન્સ્ટેબલ માટે) મુજબ આપવામાં આવી છે. બઢતી પામેલા તમામ અધિકારીઓને તેમની હાલની નિમણૂકવાળી જગ્યાએ જ ચાલુ રાખવામાં આવ્યા છે. આ બઢતીઓ કાર્યકારી અને હંગામી ધોરણે આપવામાં આવી છે, જે કોઈપણ નોટિસ વગર પાછી ખેંચી શકાય છે.
વર્ષ 2017માં અમદાવાદના રાણીપમાં રહેતો આરોપી વેલકનીદાસ ક્રિસ્ચન સામે ડિટેક્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકે NDPS એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. જે સંદર્ભના કેસની ટ્રાયલ અમદાવાદ ખાતે આવેલ NDPS કેસોની વિશેષ અદાલતમાં ચાલી જતા જજ વી.બી. રાજપૂતે સરકારી વકીલ દિલીપસિંહ એમ ઠાકોરની દલીલો, સાહેદો અને પુરાવાઓને ધ્યાને રાખીને આરોપીને 10 વર્ષની કેદ અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. બેગ તપાસતા કુલ 22.300 કિલો ગાંજો અને એર ટિકિટ મળીકેસને વિગતે જોતા પોલીસને બાતમી મળી હતી કે, એક આરોપી સિકંદરાબાદથી આવી રહેલી ટ્રેનમાં ગાંજો લઈને આવી રહ્યો છે. જેના આધારે પોલીસે પંચો તૈયાર કરીને વોચ ગોઠવી હતી ત્યારે આરોપી સાળંગપુર પાસે કાળી ટી-શર્ટ અને પેન્ટમાં આવ્યો હતો. જેની પાસેની બેગ તપાસતા કુલ 22.300 કિલો ગાંજો અને એર ટિકિટ મળી આવ્યા હતા. કોર્ટે આરોપીને 10 વર્ષની કેદ અને આરોપીને 1 લાખનો દંડ ફટકાર્યોઆ ગાંજાની કિંમત 2.23 લાખ રૂપિયા જેટલી હતી. આરોપી પાસે આ કોમર્શિયલ ક્વોન્ટિટીમાં પકડાયેલા આ ગાંજાને લાવવાનો કોઈ પાસ કે પરમિટ નહોતો. તે અમદાવાદમાં વેચાણ અર્થે આ ગાંજો લાવ્યો હતો. પરંતુ તે પોતાના ઇરાદામાં સફળ થાય તે પહેલા જ સારંગપુર પાસેથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. કોર્ટે તમામ પુરાવાઓ અને દસ્તાવેજો ધ્યાને લઈને આરોપીને 10 વર્ષથી કેદ અને 1 લાખ રૂપિયા દંડ ફટકાર્યો હતો.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે શરૂ કરેલા 'ભાર વગરના ભણતર' અભિગમ અંતર્ગત આજે ગોધરાની સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યા શાળામાં આનંદદાયી શનિવાર અને બેગલેસ ડેની ઉજવણી કરવામાં આવી. શાળામાં વિદ્યાર્થિનીઓએ સમૂહ કવાયત, યોગ અને સફાઈ જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. સ્વચ્છતા અંગેનું પ્રદર્શન પણ યોજાયું હતું. શિક્ષકોએ વિદ્યાર્થિનીઓને દફતર વગર શીખવી શકાય તેવા વિવિધ પ્રોજેક્ટ્સનું નિદર્શન કર્યું હતું. ધોરણ 3થી 5ની વિદ્યાર્થિનીઓએ માપન પ્રોજેક્ટમાં ભાગ લીધો હતો. તેમણે વિવિધ માપના પ્રવાહીની ગુંજાશ માપવાનું શીખ્યું. 1, 2 અને 5 લીટર પાણીમાંથી 100ml, 200ml અને 500ml ના માપીયા કેવી રીતે ભરાય તે જાતે શીખ્યું. ધોરણ 6થી 8ની વિદ્યાર્થિનીઓએ ચોરસ અને લંબચોરસ વસ્તુઓની લંબાઈ, પહોળાઈ, પરિમિતિ અને ક્ષેત્રફળ માપવાનું પ્રેક્ટિકલ જ્ઞાન મેળવ્યું છે. આ પ્રેક્ટિકલ જ્ઞાન થિયરી કરતાં વધુ અસરકારક સાબિત થયું છે. કાર્યક્રમના અંતે બાળસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાલવાટિકાથી ધોરણ 8 સુધીની વિદ્યાર્થિનીઓએ વિવિધ નૃત્યોની પ્રસ્તુતિ આપી હતી. શાળાના આચાર્ય ભારતસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ શિક્ષકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
વડોદરા શહેરમાં સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન બપોરે 2 વાગ્યાથી સતત બે કલાક સુધીમાં 37 મીમી વરસાદ ખાબકતા સમગ્ર શહેર જળબંબાકાર બની ગયું હતું. વડોદરા શહેરના મુખ્ય માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા હતા. માર્ગો ઉપરના દુકાનદારો ચિંતામાં મુકાઈ ગયા હતા. તો બીજી બાજુ સતત વરસી રહેલા વરસાદને પગલે કોર્પોરેશન પણ ચિંતામાં મુકાઈ ગયું હતું. શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી 12 ફૂટે પહોંચી ગઇ હતી. પાણી ભરાઈ જતા શહેરીજનો મુશ્કેલીમાંઅનરાધાર વરસેલા વરસાદને પગલે વડોદરા શહેરના એમ. જી. રોડ, રાવપુરા રોડ, અમદાવાદી પોળ, દાંડિયા બજાર, ચોખંડી, વાડી ટાવર, વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા, ખોડીયાર નગર, ગોત્રી, સુભાનપુરા, તરસાલી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. બે કલાકમાં દોઢ ઇંચ વરસાદબે કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસતા રેલવે સ્ટેશનનુ ગરનાળું ભરાઇ જતાં સયાજીગંજ અને અલકાપુરી વચ્ચેનો સંપર્ક કપાઈ ગયો હતો.રેલવે સ્ટેશન ગરનાળામાં પાણી ભરાઈ જતા વાહનચાલકોને એક કિલોમીટર ફરીને પોતાના નિર્ધારિત સ્થળે પહોંચવાની ફરજ પડી હતી. ઠેર ઠેર ભરાયેલા પાણીના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. અનેક જગ્યાએ વાહનો પાણીમાં બંધ થઇ ગયા હતા. ભારે વરસાદથી બજારને અસરભારે વરસાદને કારણે શહેરના બજારો પર અસર જોવા મળી હતી. અનરાધાર વરસી રહેલા વરસાદને જોઈને બેઝમેન્ટમાં દુકાનો ધરાવતા વેપારીઓએ સલામતીના ભાગરૂપે નુકસાનીથી બચવા પોતાના સામાનને સલામત સ્થળે ખસેડી દીધો હતો. વિશ્વામિત્રી નદીની સપાટી 4 વાગ્યે 12 ફૂટે પહોંચીઆજવા સરોવરના ઉપરવાસમાં એટલે કે પંચમહાલ જિલ્લામાં વરસાદ ન હોવાના કારણે કોર્પોરેશન ચિંતામુક્ત રહ્યુ હતું. પરંતુ શહેરમાં પડી રહેલા ભારે વરસાદને કારણે કોર્પોરેશને તંત્રને એલર્ટ રહેવા સૂચના જારી કરી દીધી હતી. જોકે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો હતો અને વિશ્વામિત્રી નદીની સપાટી બપોરે 4 કલાકે 12 ફૂટે પહોંચી ગઈ હતી. તમામ તાલુકામાં વરસાદપૂર નિયંત્રણ રૂમમાંથી મળેલી માહિતી પ્રમાણે વડોદરા શહેરમાં 37 મીમી, પાદરા 24 મીમી સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળ્યા હતા.