SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

32    C
... ...View News by News Source

પાટણમાં 80 ગ્રામ ગાંજા સાથે યુવક ઝડપાયો:ત્રણ દરવાજા પાસેથી રૂ. 4000નો જથ્થો જપ્ત, NDPS હેઠળ ગુનો નોંધાયો

પાટણ શહેરના ત્રણ દરવાજા પાસેથી ગઈકાલે રાત્રે 80 ગ્રામ ગાંજા સાથે એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. પાટણ એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતા રૂ. 4000ની કિંમતનો માદક પદાર્થ જપ્ત કર્યો હતો. આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ગઈકાલે રાત્રે આશરે સાડા દસ વાગ્યાના સુમારે પાટણ એ ડિવિઝન પોલીસે ત્રણ દરવાજા પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન અન્નપૂર્ણા સોસાયટીમાં રહેતા ભાવેશ ઠાકોર (ઉંમર 22) નામના યુવકને શંકાસ્પદ હાલતમાં રોકવામાં આવ્યો હતો. તપાસ કરતા તેની પાસેથી કાળા રંગની પ્લાસ્ટિકની થેલીમાં છુપાવેલો 80 ગ્રામ સૂકો ગાંજો મળી આવ્યો હતો. પાટણ એ ડિવિઝનના પી.એસ.આઇ આર.બી. ચાવલા અને તેમના સ્ટાફે આ સમગ્ર કાર્યવાહી કરી હતી. યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:28 pm

પાટણ માર્કેટયાર્ડ પાસે ₹32,809નો અનાજનો જથ્થો જપ્ત:પુરવઠા વિભાગે દરોડો પાડી બિલ વગર ખરીદી કરતા બે વેપારીને નોટિસ પાઠવી

પાટણ શહેરના માર્કેટયાર્ડ ગેટ પાસે જાહેર રોડ પર શંકાસ્પદ રીતે અનાજની ખરીદી થતી હોવાની માહિતી મળતાં જિલ્લા પુરવઠા વિભાગે ઓચિંતી તપાસ હાથ ધરી હતી. આ દરોડા દરમિયાન, બિલ કે આધાર-પુરાવા વગર ખરીદવામાં આવેલો ₹32,809ની કિંમતનો અનાજનો જથ્થો જપ્ત કરી સીઝ કરવામાં આવ્યો છે. જિલ્લા પુરવઠા અધિકારી અને તેમની ટીમે શહેરમાં નિયમિત પેટ્રોલિંગ અને આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન, પાટણ માર્કેટયાર્ડના ગેટ પાસે જાહેર રોડ પર બે વેપારીઓ અનાજની ખરીદી કરતા જોવા મળ્યા હતા. પુરવઠા વિભાગની ટીમે તપાસ કરતા વેપારીઓ પાસે માલને લગતા કોઈ બિલ કે આધાર-પુરાવા મળ્યા ન હતા. વેપારીઓ સંતોષકારક જવાબ કે દસ્તાવેજો રજૂ ન કરી શકતા તંત્રએ કડક કાર્યવાહી કરી હતી. સ્થળ પરથી 616.31 કિલો ચોખા, 424.91 કિલો ઘઉં અને 147.29 કિલો બાજરી સહિત કુલ 1188 કિલોથી વધુ અનાજનો જથ્થો મળી આવ્યો હતો. તંત્ર દ્વારા કુલ ₹32,809ની કિંમતનો આ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સીઝ કરાયેલો આ તમામ જથ્થો હાલ પાટણના સરકારી ગોડાઉન ખાતે રાખવામાં આવ્યો છે. નિયમોના ભંગ બદલ વેપારીને નોટિસ આપી ખુલાસો પૂછવામાં આવશે . જિલ્લા પુરવઠા અધિકારી હેમાગીની ગુર્જરના જણાવ્યા અનુસાર, હાલમાં આ જથ્થો જપ્ત કરી ગોડાઉનમાં મુક્યો છે. વેપારીને નોટીસ આપ્યા બાદ શું જવાબ મળે છે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ વેપારી દ્વારા ખરીદવામાં આવતો અનાજનો જથ્થો ક્યાં મોકલવામાં આવતો હતો, તેની પણ તપાસ કરવામાં આવે તેવી માગણી ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:22 pm

વલસાડમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી:'યુનિટી માર્ચ' પદયાત્રાનું આયોજન કરાયું, મોટી સંખ્યામાં લોકો જોડાયા

વલસાડ વિધાનસભા વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે 'યુનિટી માર્ચ' પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો મુખ્ય હેતુ દેશના એકીકરણમાં સરદાર સાહેબના યોગદાનને યાદ કરવાનો અને લોકોને એકતાના સંદેશ સાથે જોડવાનો હતો. પદયાત્રાનો પ્રારંભ તિથલ સ્થિત સ્વામિનારાયણ મંદિરથી થયો હતો. આ સમગ્ર કાર્યક્રમ વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ અને સ્થાનિક લોકો જોડાયા હતા. ઉપસ્થિત આગેવાનોમાં પ્રદેશ બક્ષીપંચ મોરચાના મહામંત્રી સનમ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા અને વલસાડના ધારાસભ્ય ભરત પટેલનો સમાવેશ થાય છે. તિથલ સ્વામિનારાયણ મંદિર ખાતેના પ્રારંભિક કાર્યક્રમમાં સાંસદ ધવલ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા સહિતના અગ્રણીઓએ સરદાર વલ્લભભાઈ પટેલે દેશના ઘડતર અને એકીકરણમાં આપેલા મહત્ત્વના યોગદાનો વિશે લોકોને માહિતગાર કર્યા હતા. આ 'યુનિટી માર્ચ'માં વલસાડ જિલ્લાના લોકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. આ પદયાત્રાએ એકતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ વલસાડમાં ગુંજતો કર્યો હતો, જે સરદાર પટેલના આદર્શોને ઉજાગર કરે છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:12 pm

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં વેસ્ટ ઝોન વુમન વોલીબોલ સ્પર્ધા:4 રાજ્યોની 90 ટીમો ભાગ લેશે; 4 ગ્રાઉન્ડ પર રાત્રે 10 વાગ્યા સુધી મેચ

પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) આગામી 10 ડિસેમ્બરથી AIU (એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ)ની વેસ્ટ ઝોન વુમન વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરશે. આ ચાર દિવસીય સ્પર્ધા 14 ડિસેમ્બર સુધી ચાલશે. આ સ્પર્ધામાં મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન એમ ચાર રાજ્યોમાંથી કુલ 90 ટીમો ભાગ લેશે. આશરે 1500 ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા પાટણ આવી રહ્યા છે. ખેલાડીઓના ઉત્સાહવર્ધન માટે ભારતીય વોલીબોલ ટીમના પૂર્વ કેપ્ટન કેના ધોળકિયા ખાસ ઉપસ્થિત રહેશે. યુનિવર્સિટીના કુલપતિ કે.સી. પોરીયા પણ આ પ્રસંગે હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કરશે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામક ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, મેચોના સુચારુ આયોજન માટે યુનિવર્સિટી કેમ્પસમાં ચાર અલગ-અલગ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં ટીમો હોવાથી રાત્રે 10 વાગ્યા સુધી મેચ રમાડવામાં આવશે. સ્પર્ધાના ટેકનિકલ પાસાઓ પર નજર રાખવા અને સંચાલન માટે ગુજરાતના પ્રથમ વોલીબોલ રેફરી ડો. નરેન્દ્ર ક્ષત્રિય ટેકનિકલ બોર્ડની કામગીરી સંભાળશે. બહારગામથી આવતી ખેલાડી બહેનો માટે રહેવા અને જમવાની સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે આયોજન સમિતિના સભ્યોની એક મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ખેલાડીઓને તમામ જરૂરી સુવિધાઓ મળી રહે તે માટેની વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 4:01 pm

ગોધરામાં MGVCL-પોલીસનું મેગા ચેકિંગ, 24.22 લાખની વીજચોરી ઝડપાઈ:પશ્ચિમ વિસ્તારમાં 35 કનેક્શનમાંથી વીજચોરી પકડાતાં કાર્યવાહી

ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આજે વહેલી સવારે મધ્ય ગુજરાત વીજ કંપની (MGVCL) અને પંચમહાલ પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ મેગા સર્ચ ઓપરેશનમાં કુલ 24.22 લાખ રૂપિયાની વીજચોરી ઝડપાઈ હતી, જેમાં 35 વીજ ગ્રાહકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ અભિયાનમાં MGVCLની વર્તુળ કચેરી અને આણંદ, નડિયાદ, દાહોદ, ગોધરા, વડોદરા સહિતની 45 ટીમોના 124 કર્મચારી તથા 54 પોલીસ સ્ટાફનો સમાવેશ થતો હતો. સિંગલ ફળિયા, સાતપુલ સ્ટેશન રોડ, ગોન્દ્રા વિસ્તાર, મહંમદ સોસાયટી અને હયાતની વાડી જેવા પશ્ચિમ વિસ્તારના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કુલ 1345 વીજ કનેક્શન તપાસવામાં આવ્યા હતા, જેમાંથી 35 કનેક્શનમાં વીજચોરી મળી આવી હતી. MGVCL વિભાગ દ્વારા આ 35 વીજ ગ્રાહકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમને પૂરવણી બિલ આપીને નાણાં ભરવા માટે નોટિસ પાઠવવામાં આવશે. વીજચોરી કરનાર 29 ગ્રાહકો સામે કલમ 135 હેઠળ અને છ ગ્રાહકો સામે કલમ 126 હેઠળ ગુનો નોંધી દંડ સંહિતાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ચેકિંગ દરમિયાન કેટલાક વીજ ગ્રાહકો દ્વારા રકઝકનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સ્થાનિક પોલીસે દરમિયાનગીરી કરીને મામલો શાંત પાડ્યો હતો.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 3:42 pm

રાજકોટમાં 139 એનિમી પ્રોપર્ટીનો સર્વે અને વેલ્યુએશન કામગીરી ચાલુ:જેતપુર તાલુકામાં સૌથી વધુ, જાણો, કઈ પ્રોપર્ટીને એનિમી પ્રોપર્ટી ગણવામાં આવે?

ભારત અને પાકિસ્તાનના ભાગલા અથવા 1965ના યુદ્ધ પછી જે લોકો ભારત છોડીને પાકિસ્તાન અથવા અન્ય કોઈ દુશ્મન દેશના નાગરિક બન્યા છે તેમની ભારતમાં રહેલી મિલકતોને 'એનિમી પ્રોપર્ટી' જાહેર કરવામાં આવી છે. આ મિલકતોનો કબ્જો 'કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી' હેઠળ લેવામાં આવ્યો છે. તાજેતરમાં જ, રાજકોટ જિલ્લામાં આવેલી આવી કુલ 139 એનિમી પ્રોપર્ટીનો સર્વે કરવાની અને તેનું વેલ્યુએશન કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 139 પૈકી જેતપુર તાલુકામાં સૌથી વધુ એનિમી પ્રોપર્ટી હોવાની માહિતી હાલ તંત્રના ધ્યાને આવી છે. રાજકોટમાં 139 મિલકતો કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી હસ્તક છેરાજકોટ જિલ્લામાં એનિમી પ્રોપર્ટીની સ્થિતિ અંગે જણાવતા રાજકોટ જિલ્લા કલેકટર ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 139 મિલકતો કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી હસ્તક છે. સર્વેની વિગતો અને ટીમના સભ્યો 17 નવેમ્બર 2025થી 23 ડિસેમ્બર 2025 સુધી અસિસ્ટન્ટ કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી, મુંબઈના સર્વેયર, સાથે રાજકોટના જિલ્લા જમીન દફતર (ડીએલઆર) અને સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટ કચેરીના સર્વેયર પણ જોડાશે. 73 મિલ્કતો આઈડેન્ટિફાય થઇ છે જેની તપાસ ચાલુ છે અત્યાર સુધી એનિમી પ્રોપર્ટીમાં 66 મિલકતો કાયદેસર રીતે એનિમી પ્રોપર્ટી તરીકે જાહેર થઈ ગઈ છે જ્યારે બાકી 73 મિલકતો આઇડેન્ટિફાય થઈ છે, પરંતુ દેશ છોડતા પહેલા વેચાણ થયું છે કે નહીં, મંજૂરી લીધી છે કે નહીં, તે અંગે નિર્ણય લેવાનો બાકી છે. હાલમાં તમામ 139 મિલકતોનો સર્વે કરવામાં આવશે અને તેનું વેલ્યુએશન (મૂલ્યાંકન) કરવામાં આવશે. વેલ્યુએશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા આ મિલકતોની જાહેર હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ડિક્લેર્ડ પ્રોપર્ટીમાં સૌથી વધુ જેતપુર તાલુકાની 44 મિલ્કતો છેડિક્લેર્ડ પ્રોપર્ટીમાં સૌથી વધુ જેતપુર 44, ઉપલેટા 12, પડધરી 4, ધોરાજી 3, ગોંડલ 2, કોટડા સાંગાણી 1 સહિતની પ્રોપર્ટીનો સર્વેની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે. જ્યારે બાકીની 73 મિલ્કતોમાં જેતપુર 59, ગોંડલ 7, જસદણ 4, રાજકોટ શહેર 2, કોટડા સાંગાણી 1 સહિતની મોટાભાગની મિલકતો ખેતીની જમીન, રહેણાંક અને વ્યવસાયિક પ્રકારની હોવાનું સામે આવ્યું છે. દેશમાં કુલ 12,615 દુશ્મની મિલકતહરાજી બાદ મિલકત ખરીદ્યા બાદ દુશ્મન સંપત્તિને કાયદેસર રીતે પોતાની પાસે રાખી શકશો. દુશ્મન સંપત્તિને અતિક્રમણ મુક્ત કરવાની પ્રક્રિયા સૌથી પહેલાં ઉત્તરપ્રદેશના નોઈડા અને ગ્રેટર નોઇડાથી હાથ ધરવામાં આવી હતી. દેશભરમાં કુલ 12,616 દુશ્મન મિલકતની ઓળખ કરવામાં આવી હતી, પરંતુ સૌથી વધુ 6255 દુશ્મન પ્રોપર્ટી ઉત્તરપ્રદેશમાં છે. તેમાંથી 3797 દુશ્મન સંપત્તિની ઓળખ કરી લેવામાં આવી હતી. યુપી બાદ સૌથી વધુ દુશ્મન સંપત્તિ પશ્ચિમ બંગાળમાં છે. દુશ્મન મિલકત શું છે?દેશના ભાગલા સમયે કે પછી 1962, 65 અને 1971ના યુદ્ધમાં એવા લોકો જે દેશ છોડીને પાકિસ્તાનમાં સ્થાયી થયા હતા. બીજા દેશમાં જવાને કારણે તેમની મિલકત, મકાન, દુકાન કે જમીન ભારતમાં રહી ગઈ તેને દુશ્મન સંપત્તિ કહેવામાં આવે છે. સરકાર દ્વારા દરેક રાજ્યમાં હજારો દુશ્મન સંપત્તિની ઓળખ કરવામાં આવી હતી. 1962ના સંરક્ષણ અધિનિયમ હેઠળ સરકારને દુશ્મનની મિલકતો જપ્ત કરવાનો અધિકાર છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 3:42 pm

એશિયા પેસિફિક કોલેજમાં NSUIએ ડાયરેક્ટર પર નકલી નોટો ઉછાળી:પરીક્ષાના આગલા દિવસે આગામી સેમેસ્ટરની ફી લેવાતી હોવાનો આક્ષેપ, ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા રાખતા હોવાના આક્ષેપ સાથે વિરોધ કર્યો

ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલી એશિયા પેસિફિક કોલેજમાં NSUI દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કોલેજના ડાયરેક્ટર પર NSUIના કાર્યકર્તાઓએ 200 અને 500ની નકલી નોટો ઉછાળી વિરોધ દર્શાવ્યો હતો. પરીક્ષાના આગલા દિવસે આગામી સેમેસ્ટરની ફી કોલેજ દ્વારા લેવામાં આવતી હોવાનો NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જેથી, ડાયરેક્ટર પર નકલી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. જે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ લેવાની હોય એમની પાસે જ વહેલા ફી માંગી હોવાનો કોલેજના ડાયરેક્ટર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. કોલેજના ડાયરેક્ટર દ્વારા બચાવ કરવામાં આવતા NSUIના કાર્યકર્તાઓ ઉશ્કેરાયા હતાએશિયા પેસિફિક કોલેજમાં વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લેવામાં આવતા હોવાનો પણ NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લેવામાં આવતા સરકારી પરીક્ષાના ફોર્મ ભરવામાં વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. જેથી, આ તમામ મુદ્દાઓને લઈને NSUI દ્વારા કોલેજ ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે, કોલેજના ડાયરેક્ટર દ્વારા બચાવ કરવામાં આવતા NSUIના કાર્યકર્તાઓ ઉશ્કેરાયા હતા. જે બાદ નકલી નોટો ડાયરેક્ટર પર ઉછાળી વિરોધ દર્શાવ્યો હતો. તેમજ જો આગામી સમયમાં પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો કોલેજને તાળાબંધી કરવાની પણ NSUI એ ચીમકી ઉચ્ચારી છે. પરીક્ષા હોવા છતાં વિદ્યાર્થીઓને હજુ સુધી હોલ ટિકિટ આપવામાં આવી નથીગુજરાત NSUIના મંત્રી હર્ષ પરમારે જણાવ્યું હતું કે, આવતીકાલે પરીક્ષા હોવા છતાં વિદ્યાર્થીઓને હજુ સુધી હોલ ટિકિટ આપવામાં આવી નથી. જો વિદ્યાર્થીઓ 10 મિનિટ મોડા આવે તો તેમને પરીક્ષામાં બેસવા દેવામાં આવતા નથી. વહેલી તકે વિદ્યાથીઓને હોલ ટિકિટ આપવામાં આવે એવી અમારી માંગ છે તેમજ 10 મિનિટ જો વિદ્યાર્થીઓ મોડા આવે તો તેમને પરીક્ષા આપવા દેવામાં આવે એવી અમારી માંગ છે. એશિયા પેસિફિક કોલેજના ડાયરેક્ટરે આક્ષેપોને નકાર્યાએશિયા પેસિફિક કોલેજના ડાયરેક્ટર પરેશ છણિયારાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ પાસેથી કોઈ પણ એડવાન્સ ફી લેવામાં આવતી નથી. સ્કોલરશીપ માટે એપ્લાય કરેલા વિદ્યાર્થીઓ જ ફી માટેની રિસિપ્ટ લેવા અરજી કરી ફી ભરતા હોય છે. જેથી, જેમને જરૂર હોય એવા વિદ્યાર્થીઓ જ ફી ભરે છે. હોલ ટિકિટ પણ વિદ્યાર્થીઓ પરીક્ષા અગાઉથી જ લઈ જતા હોય છે તેમજ વિદ્યાર્થીઓ ઓનલાઇન પણ હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકતા હોય છે. યુનિવર્સિટીના નિયમના આધારે વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે મોડા પડે તો અમે તેમને પ્રવેશ આપતા નથી. એડમિશન સમયે કોઈ વિદ્યાર્થીએ ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપ્યા હોય અને ભૂલી ગયા હોય તો એવા વિદ્યાર્થીઓના જ પડ્યા હોય છે તેમજ એ લોકો પાછળથી આવીને ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ જતા હોય છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 3:27 pm

દાખલો બેસે તેવી કાર્યવાહી શા માટે નહીં?:ધારાસભ્યની ટકોર બાદ સત્તત બીજા દિવસે આરોગ્ય શાખાની ટીમનું ચેકીંગ, શહેરના ચોખંડી વિસ્તારમાં ટીમના ધામા

વડોદરા મહાનગરપાલિકામાં ગત સંકલનની બેઠકમાં સિનિયર ધારાસભ્યએ તેલ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓમાં થતી ભેળસેળ સામે કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું. ત્યારે ગઈ કાલે પાલિકાની ખોરાક શાખાની ટીમે ચોખંડી, ખોડીયારનગર અને હાથીખાના માર્કેટ યાર્ડમાં 738 કિલો તેલનો જથ્થો સીઝ કર્યો હતો. ત્યારે આજ કાર્યવાહીના ભાગ રૂપે આજે પણ શહેરના ચોખંડી વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આ અંગે ખોરાક શાખાના અધિકારી પ્રશાંત ભાવસારે જણાવ્યું હતું કે, આજે શહેરના ચોખંડી વિસ્તારમાં આવેલ જયંત રતિલાલ નામે જે ફર્મ છે, ત્યાં આપણે ચેકિંગ હાથ ધર્યું છે અને ત્યાંથી આપણે ગ્રાઉન્ડનટ ઓઇલ (મગફળીનું તેલ) લૂઝ જે ટાંકીમાંથી આપણે ડાયરેક્ટ નમૂનો લીધેલ છે અને તેની કાર્યવાહી કરી છે. ઇન્સ્પેક્શન દરમ્યાના તેઓ દ્વારા કહેવામાં આવ્યું કે રી-પેકિંગ કરી અને જે બિઝનેસ કરવાનો છે, તેઓ લોકોએ કાર્યવાહી કરી દીધેલ છે અને તેના લેબલની પણ પ્રોવિઝન એમણે તૈયારીમાં રાખ્યા છે અને આ જોતાં તમામ નવા ડબ્બા જ હાલ જોવા મળેલ છે. તેઓ કોઈપણ જૂના ડબ્બામાં રીસાઇકલિંગ કે એવું કંઈક હાલની પરિસ્થિતિમાં જોવા મળેલ નથી. વધુમાં કહ્યું કે, અગાઉ પણ એસોસિએશનને બોલાવીને આપણે મીટિંગ કરાવેલી અને તેમાં જણાવેલ કે તેમને લાઇસન્સ જે છે એ રી-પેકિંગ કરાવી અને તેમના લેબલ આધારે જ પેકિંગ કરી અને સ્ટીકર લગાવીને સેલ કરવાનું રહશે. જો એ પ્રમાણે કાર્યવાહી નહીં કરવામાં આવે તો FSSAI (ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્ઝ ઑથૉરિટી ઑફ ઇન્ડિયા) અંતર્ગત જે સેક્શન મુજબ નિયમ ભંગ થતો હશે, તે મુજબની આગળની કાર્યવાહી કરવામાં આવશે. સાથે સ્વચ્છતા અંગે આપણે એમને શિડ્યુલ 4ની નોટિસ પણ ઇશ્યુ કરીશું અને તે માટે તેઓને સમય પણ આપીશું. તે સમય દરમિયાન જો તેઓ પાલન નહીં કરે તો તે અંતર્ગત પણ કાર્યવાહી અમે કરીશું. હાલ અહીંથી ગ્રાઉન્ડનટ ઓઇલ (મગફળીનું તેલ) લૂઝનો નમૂનો લેવાની કાર્યવાહી કરેલ છે. ગઈ કાલે ખોરાક શાખાની ટીમે ચોખંડી વિસ્તારમાં આવેલી અમરનાથ ટ્રેડિંગ કંપનીમાં ચેકિંગની કામગીરી કરી હતી. જ્યાં કપાસિયા તેલનો નમૂનો લેતા તે શંકાસ્પદ જણાયો હતો. જેના પગલે રૂ.69,368ની કિંમતનો 478 કિલો તેલનો જથ્થો સીઝ કર્યો હતો. તેવી જ રીતે હાથીખાના વિસ્તારમાં આવેલી પ્રભુલાલ એન્ડ સન્સ હોલસેલની દુકાનમાં ચેકિંગ દરમિયાન સીંગતેલનો 17,923ની કિંમતનો 103 કિલો જથ્થો સીઝ કર્યો હતો. ખોરાક શાખાની ટીમે ખોડીયારનગરમાં મિષા એન્ટરપ્રાઇઝમાં પણ ચેકિંગ કર્યું હતું. જ્યાં પામોલીન તેલનો નમૂનો શંકાસ્પદ જણાયો હતો અને તેના કારણે રૂપિયા 19,292ની કિંમતનો 148 કિલો જથ્થો સીઝ કર્યો હતો. આજે સત્તત બીજા દિવસે કાર્યવાહી ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 3:26 pm

વડોદરામાં ફરી સ્માર્ટ મીટરનો વિરોધ:MGVCLના કર્મચારીઓ ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવા દબાણ કરતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ, કહ્યું: બહાર ગયા હોય ત્યારે સ્માર્ટ મીટર લગાવી જાય છે

વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં આવેલ ભવ્ય દર્શન ફ્લેટના રહીશોએ સ્માર્ટ મીટરનો ભારે વિરોધ કર્યો હતો. રહેવાસીઓનો આક્ષેપ છે કે કર્મચારીઓએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, સ્માર્ટ મીટર નહીં લગાવો તો કનેક્શન કપાઈ જશે. આ ચીમકી બાદ રહેવાસીઓમાં ભારે રોષ અને અસંતોષ ફેલાયો છે. પરિવારો, વૃદ્ધો અને મહિલાઓ સહિત દરેકને ભયનો માહોલ, કારણ કે લાઇટ કનેક્શન કાપાઈ જશે એવી ધમકી પછી લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે. સ્થાનિક મહિલા મંજુલાબેને જણાવ્યું હતું કે, અમારી એ સમસ્યા છે કે, અમને કોઈ પણ જાતની જાણ કર્યા વિના સ્માર્ટ મીટર નાખવા માટે આવ્યા છે. અમારા બધા મીટરો બધા સારા જ ચાલે છે, પછી સ્માર્ટ મીટર નાખવાની કોઈ જરૂર જ નથી. અને અમે એનો વિરોધ કર્યો છે કે, ભાઈ અમારે સ્માર્ટ મીટર નથી નાખવા, તો એમણે અમને ધમકી આપી કે, તમે સ્માર્ટ મીટર નહીં નખાવો તો અમે તમારું કનેક્શન કાપી કાઢીશું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી અહીં ઘણી સમસ્યાઓ છે, આવનારી ચૂંટણીમાં અમે તો કોઈ વોટ જ નથી આપવાના અને ચૂંટણીનો બહિષ્કાર કરવાના જ છીએ. અમે આખી સોસાયટીવાળાએ બધાએ નિર્ણય જ કર્યો છે કે આ વખતે કોઈએ વોટ આપવાનો નહીં. કોઈ પણ આગેવાન આવે તો ગેટની અંદર ઘૂસવા જ નહીં દઈએ. સ્થાનિક ચતુર પાટીલ એ જણાવ્યું હતું કે, હું સેકન્ડ શિફ્ટમાં નોકરી ગયો હતો અને એ ટાઇમે મારું સ્માર્ટ મીટર એ લોકો નાખીને ગયા હતા. એ મને એનો કશું ખ્યાલ જ નહીં. જ્યારે બીજા દિવસે હું ઘરે આવ્યો, એટલે મારી ડિસ્પ્લે દેખાતી નથી મારી. જ્યારે બીજા દિવસે ઘરે આવ્યો ત્યારે મેં જોયું તો ડિસ્પ્લે જ આઉટ થઇ ગઈ ગયું હતું અને પછી મને તો ખ્યાલ નહીં કે આ સ્માર્ટ મીટર છે કે કયું મીટર છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મારા ટાવરના લોકો થકી ખબર પડી કે આ સ્માર્ટ મીટર લાગ્યું છે. એટલે હું જીઈબીમાં ગયો અને જીબીમાં જઈને મેં આ બધી આની રજૂઆત કરી હતી મેં કે સ્માર્ટ મીટર મારે નહીં જોઈતું, મારે પેલું સાદું મીટર મને નાખી આપો. પણ એમણે મને કહ્યું કે, હવે આખા ગુજરાતમાં આપણે આજ મીટર નાખવાના છે. મેં કહ્યું આમાં પ્રી-પેડ સિસ્ટમ છે, તો એ મને પોષાય નહીં. કારણ કે, આમાં વધારે બિલ આવે છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 3:18 pm

44 કરોડના ખર્ચે કલોલ સ્ટેશનનું રિડેવલપમેન્ટ:સ્ટેશન પરિસરમાં 40 ફૂટ પહોળો અને 173 ફૂટ લાંબો ફૂટ ઓવરબ્રિજ બનશે, જાણો કઈ નવી ચાર ટ્રેનોના સ્ટોપેજ કલોલમાં મંજૂર કરાયા

રેલવેમાં મોટાભાગના લોકો મુસાફરી કરતા હોય છે. ત્યારે કલોલ રેલવે સ્ટેશનની રીડેવલપમેન્ટની કામગીરી હવે જોરશોરથી ચાલી રહી છે. જેથી મુસાફરોને મુસાફરી કરવામાં વધુ સરળતા રહેશે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા આશરે રૂ. 44.22 કરોડના ખર્ચે સ્ટેશનનું રીડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે. સ્ટેશન પરિસરમાં 40 ફૂટ પહોળો અને 173 ફૂટ લાંબો ફૂટ ઓવરબ્રિજ બનાવાઈ રહ્યો છે, જે શહેરના બંને છેડા અને બધા પ્લેટફોર્મને જોડશે, જેથી મુસાફરોને અવરજવર કરવામાં વધુ સરળતા રહેશે. 14,000 ચોરસ ફૂટ વિસ્તાર ધરાવતા સ્ટેશન ભવનનું મોર્ડનાઇઝેશનનવી ડિઝાઇન અનુસાર સ્ટેશનમાં બે નવા પ્રવેશદ્વાર અને બે બહાર નીકળવાના દરવાજાઓ પણ બનાવવામાં આવી રહ્યા છે. આશરે 14,000 ચોરસ ફૂટ વિસ્તાર ધરાવતા સ્ટેશન ભવનનું મોર્ડનાઇઝેશન થવાનું છે. તેમજ 20,000 ચોરસ ફૂટનો કવર શેડ અને 2,370 ચોરસ ફૂટનો નવો વેઇટિંગ હોલ મુસાફરોને વધુ આરામદાયક સુવિધા આપશે. વાહન પાર્કિંગને વધુ મોટું કરવા માટે 18,750 ચોરસ ફૂટ વિસ્તારમાં 55 ફોર-વ્હીલર અને 110 ટુ-વ્હીલર માટે પાર્કિંગની સુવિધા પણ કરવામાં આવી રહી છે. સ્ટેશન પરિસરના લુક માટે ઇન્ટ્રેસ્ટિંગ વોલ પેઇન્ટિંગ પણ બનાવવામાં આવી રહ્યાં છે. બુકિંગ ઓફિસ, વેઇટિંગ હોલ અને પેનલ રૂમ ટ્રાન્સફર કરાયારીડેવલપમેન્ટના ઘણા કામો પૂરા થઈ ગયા છે. જૂના સ્ટેશન ભવનને હટાવી બુકિંગ ઓફિસ, વેઇટિંગ હોલ અને પેનલ રૂમનું અત્યારે ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. નવા સ્ટેશનના પાયાથી લઈ બીજા માળના RCC કામ પૂરાં થઈ ગયા છે અને હવે ફીનીશિંગનું કામ ચાલી રહ્યું છે. સ્કાયવોક અને લિફ્ટનું કામ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. હાલમાં દરરોજ 2,000 જેટલા મુસાફરો કલોલ સ્ટેશનનો ઉપયોગ કરે છે અને 24 ટ્રેનો અહીં રોકાય છે. નવા સ્ટોપેજથી સ્થાનિકોને મુસાફરીના વધુ વિકલ્પો ઉપલબ્ધ થશેમુસાફરોની વધતી માગને ધ્યાનમાં રાખીને ચાર નવી ટ્રેનોના સ્ટોપેજ કલોલમાં મંજૂર કરાયા છે. વલસાડ–વડનગર એક્સપ્રેસ, જોધપુર–બેંગલુરુ એક્સપ્રેસ, મુઝફ્ફરપુર–સાબરમતી એક્સપ્રેસ, દિલ્હી સરાઈ રોહિલ્લા–બાંદ્રા ટર્મિનસ ગરીબ રથ એક્સપ્રેસ. આ નવા સ્ટોપેજથી સ્થાનિક લોકોને મુસાફરીના વધુ વિકલ્પો ઉપલબ્ધ થશે, જેના કારણે રોજગાર, વ્યવસાય, શિક્ષણ અને તબીબી સેવાઓ માટેની અવરજવરમાં પણ સરળતા રહેશે. ભવિષ્યમાં મુસાફરોની સંખ્યા વધશે તેને ધ્યાનમાં રાખી કલોલ સ્ટેશનને દરરોજ 40,000 મુસાફરોને સંભાળી શકે તે રીતે વિકસાવવામાં આવી રહ્યું છે. આમ કલોલ આગામી સમયમાં આસપાસના વિસ્તારો માટે સ્માર્ટ ટ્રાન્સપોર્ટેશનનું મુખ્ય કેન્દ્ર બનશે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 3:16 pm

બોટાદની શાળામાં POCSO જાગૃતિ કાર્યક્રમ:વિદ્યાર્થીનીઓને ગુડ ટચ-બેડ ટચ વિશે માહિતગાર કરાઈ

બોટાદમાં બાળકોની સુરક્ષા અને સજાગતા વધારવાના હેતુથી નાલંદા કન્યાવિદ્યાલય ખાતે જાતીય ગુનાઓથી બાળરક્ષણ અધિનિયમ (POCSO) 2012 અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું માર્ગદર્શન બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા અને જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ. આઈ. મન્સૂરીના નેતૃત્વ હેઠળ અપાયું હતું. કાર્યક્રમ દરમિયાન નિષ્ણાતોએ વિદ્યાર્થીનીઓને જીવનમાં આવતી સંભવિત જોખમી પરિસ્થિતિઓ અંગે માહિતી આપી હતી. ખાસ કરીને, અજાણ્યા વ્યક્તિઓની લોભ-લાલચમાં ન આવવું, શાળાએ આવતા-જતા સમયે અજાણ્યા લોકોની મદદ ન લેવી અને 'ગૂડ ટચ' તથા 'બેડ ટચ' ની ઓળખ કેવી રીતે કરવી તેની સરળ અને સમજૂતીપૂર્વક સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત, પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર, 181 અભયમ મહિલા હેલ્પલાઇન, શી-ટીમ, સખી વન સ્ટોપ સેન્ટર અને બાળકો માટેની હેલ્પલાઇન 1098 વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમમાં વુમન એમ્પાવરમેન્ટ હબ અને જિલ્લા મહિલા બાળ અધિકારી કચેરી દ્વારા સંચાલિત વ્હાલી દીકરી યોજના, વિધવા સહાય, મહિલા સ્વાવલંબન યોજનાઓ અને ગંગાસ્વરૂપા પુનઃલગ્ન યોજના જેવી વિવિધ યોજનાઓ અંગે પણ માર્ગદર્શન અપાયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના સંચાલક મૌલેશભાઈ પંડ્યાએ સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. શાળાના શિક્ષકવર્ગ અને વિદ્યાર્થીનીઓની સક્રિય ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ અસરકારક બનાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 3:12 pm

છોટા ઉદેપુરમાં મૃતકની આત્મા લેવા પરિવાર હોસ્પિટલ પહોંચ્યો:અંધશ્રદ્ધામાં પરિવારજનોએ હોસ્પિટલ ગેટ પર વિધિ કરી

છોટા ઉદેપુર જીલ્લાના ખોડીવલી ગામના એક મૃતકની આત્મા લેવા પરિવારજનો સીવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.અને વિધિ કરી હતી.છોટા ઉદેપુર જીલ્લામાં 21 મી સદીમાં પણ મૃતકની આત્મા લેવા આવતા હોવાની ઘટના સામે આવી છે, અગાઉ થોડા દિવસ પહેલા દાહોદ ખાતેથી ઘટના સામે આવી હતી,આજે છોટા ઉદેપુર જીલ્લાના ખોડવલી ગામમાંથી ઘટના સામે આવી છે. ખોડવલી ગામના 60 વર્ષીય ધનજીભાઈ વેચલાભાઈ રાઠવા ઘણા સમયથી બીમાર રહેતા હતા તેઓ બીમાર હોવાથી છોટા ઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.બીમારી દરમિયાન છોટા ઉદેપુર હોસ્પિટલ ખાતે ત્રણ દિવસ પહેલા તેઓનું મોત નીપજ્યું હતું.જેઓની આત્મા લેવા માટે આજે બળવા સાથે પરિવારજનો સીવિલ હોસ્પિટલ આવ્યા હતા. અને હોસ્પિટલના ગેટ પાસે વિધિ કરીને આત્મા લઈ જવાની ઘટના સામે આવી હતી. મૃતક ધનજીભાઈ વેચલાભાઈ ત્રણ દિવસ પહેલા સારવાર દરમિયાન મૃત્યુ પામતા આજરોજ બળવા નટુડીયાભાઇ રાઠવાએ હોસ્પિટલના ગેટ પર વિધી કરીને એક કળશમાં મૃતકની આત્માને લઇને પરત ગયા હતા. ઉલ્લેખનીય છે કે 21 સદીમાં આજે પણ લોકો અંધશ્રધ્ધામાં જીવી રહ્યા છે અને આત્માને લેવા માટે લોકો બળવાનો સહારો લઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 3:09 pm

કચ્છમાંથી ઝડપાયેલા પાકિસ્તાની યુગલને કોર્ટમાં હાજર કરાયા:બન્ને પુખ્ત વયના હોવાની પુષ્ટિ, દોઢ મહિના પહેલા પોતાના દેશમાંથી ભાગી ભારતમાં શરણ લેવા ઘુસી આવ્યા હતા

કચ્છના દુર્ગમ ખડીર બેટના અંતરિયાળ વિસ્તારમાંથી દોઢ માસ પૂર્વે પાકિસ્તાની પ્રેમી પંખીડા ઝડપાયા હતા. આ મામલો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો. કારણ કે અજબ પ્રેમની ગજબ કહાની સમાન આ કિસ્સામાં એક જ જ્ઞાતિ અને નુકના પ્રેમી-પ્રેમિકા પોતાના દેશમાંથી ભાગીને ભારતમાં શરણ લેવા ઘુસી આવ્યા હતા. જેઓને આજે ભચાઉ કોર્ટમાં હાજર કરાયા છે. પાસપોર્ટ નિયમના ભંગ બદલ બન્ને પાકિસ્તાની યુવક-યુવતી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. બન્નેને ભચાઉ કોર્ટમાં લાવવામાં આવ્યા છે અને નામદાર કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવશે. મેડિકલ રિપોર્ટમાં પ્રેમી પંખીડા પુખ્તવયના હોવાનું ખુલ્યુંતોતો અને મીના નામના પ્રેમી યુગલને ખડીર બેટના રતનપરના ગ્રામજનોએ પકડી પાડી પોલીસના હવાલે કર્યા હતા. જ્યાં પોલીસ નિવેદનમાં પોતે સગીર વયના હોવાનો દાવો કરાયો હતો. જોકે, પકડાયેલા બન્ને પાકિસ્તાનીઓ વય નિર્ધારિત કરવા ભુજ શહેરની જીકે જનરલ હોસ્પિટલમાં મેડિકલ તપાસ કરાઈ હતી. મેડિકલ રિપોર્ટ અનુસાર પાકિસ્તાની પ્રેમી પંખીડા પુખ્તવયના હોવાનું ખુલ્યું પામ્યું હતું. આજે આ પ્રેમી પંખીડાને ભચાઉ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. જ્યાં તેમને કોર્ટ આદેશ બાદ જેલ હવાલે કરવામાં આવશે. યુવકની ઉમર 20 વર્ષ જ્યારે યુવતી 18થી 20 વર્ષની હોવાનું સામે આવ્યું ખડીર પોલીસમાં કિશોર વયના હોવાની કેફિયત આપનાર પાકિસ્તાની યુગલની વય નિર્ધારિત કરવા ઘટનાના ત્રીજા દિવસે જિલ્લા મથક ભુજ શહેરની જીકે જનરલ હોસ્પિટલમાં પોલીસ જપ્તા હેઠળ મેડિકલ ટેસ્ટ માટે લવાયા હતા. બન્નેના બ્લડ સેમ્પલ સહિતના નમૂના મેળવી લેબ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં તોતો ઉર્ફે તારા રણમણ ચુડી 20 વર્ષની આસપાસ ઉંમર ધરાવતો હોવાનું અને મીના ઉર્ફે પૂજા કરસન ચુડી 18 થી 20 વર્ષની આયુની હોવાનું ખુલ્યું હતું. પોલીસે આ રિપોર્ટના આધારે બન્ને સામે તપાસ હાથ ધરી ઝીણવટ ભરી પૂછપરછ શરૂ કરી હતી. પરિવારે લગ્નનો વિરોધ કરતા ઘરેથી ભાગ્યાઆ તપાસમાં બંને પ્રેમી ભીલ સમાજના અને એક જ નુકના હોવાનો ખુલાસો થયો હતો. બન્ને જણા પાકિસ્તાનના થરપારકર જિલ્લાના ઈસ્લામ કોટ તાલુકાના લસરી ગામના રહેવાસી છે. આ પ્રેમી પંખીડા પરિવારના લગ્ન વિરોધના પગલે 4 ઓક્ટોમ્બરની રાત્રિએ ઘરેથી ભાગી ગયા હતા. કાંટાળી તાર નિચેથી દેશની સરહદમાં ઘુસી આવ્યાબંન્ને જણા પગે ચાલીને ભારત સરહદ નજીક પહોંચ્યા હતા અને રાત્રિના અંધકારનો લાભ લઈ કાંટાળી તાર નિચેથી દેશની સરહદમાં ઘુસી આવ્યા હતા. અફાટ રણમાં ચાલી, વરસાદી પાણીના સહારે ત્રીજા દિવસે ખડીરની 800 મીટર પહાડી સર કરી રતનપર ગામના સીમ વિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યાં ભૂખના કારણે બીજા દિવસે તેઓ અશક્ત બની લાકડા કાપતા શ્રમિકોના ખાટલા ઉપર સુઈ ગયા હતા અને સ્થનિક લોકોના હાથે ચડી ગયા હતા. હાલ બન્નેને ખડીર પોલીસ દ્વારા ભચાઉ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. જ્યાં નામદાર કોર્ટના આદેશ બાદ નિર્ધારિત જેલ ખાતે મોકલવામાં આવશે. બન્નેના પરિજનો દ્વારા કોઈ સંપર્ક કરવામાં આવ્યો નથીઆ અંગે તપાસનીશ ખડીર પીઆઇ એમ. એન. દવેએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, હાલ કોર્ટ પ્રક્રિયા ચાલુમાં છે. જેમાં પાસપોર્ટ નિયમના ભંગ બદલ બન્ને પાકિસ્તાની યુવક-યુવતી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. બન્નેને ભચાઉ કોર્ટમાં લાવવામાં આવ્યા છે અને નામદાર કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવશે. લાંબી પ્રક્રિયા હોય ચુકાદા માટે રાહ જોવી પડશે. વધુમાં પૂછતાં તેમણે કહ્યું કે, અત્યાર સુધીમાં જાહેર થયેલી વિગતો સિવાય વિશેષ માહિતી નથી, કે બન્નેના પરિજનો દ્વારા પણ કોઈ સંપર્ક કરવામાં આવ્યો હોય તેવું ધ્યાનમાં આવ્યું નથી. આવો હવે જાણીએ આ પાકિસ્તાની યુગલને ગામમાં સૌથી પહેલાં કોણે જોયું અને પ્રથમ પુછપરછમાં તેમણે શું જણાવ્યું હતું...આજથી દોઢ મહિના પહેલા કચ્છમાં અજબ પ્રેમની ગજબ કહાની જેવો એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં પાકિસ્તાનના થરપારકરના ઇસ્લામકોટના લસરી ગામનાં પ્રેમીપંખીડાં દરિયામાં ફેરવાયેલી રણ સરહદ પાર કરી ભારતમાં ઘૂસી અંદાજે 60 કિમી દૂર છેક રતનપરના સીમાડે આવેલા સાંગવારી માતા મંદિર નજીક સુધી પહોંચી ગયાં હતાં. ગ્રામજનોને આની ખબર પડતાં ખડીર પોલીસને જાણ કરી બન્નેને પોલીસ મથકે લઇ જઇ સુરક્ષા એજન્સીઓને પણ જાણ કરાઇ હતી. 4 દિવસ પહેલાં ભાગ્યાં, ટાપુ પર રોકાયાં, વરસાદનું પાણી પીધુંજે તે સમયે ખડીર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અજયસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, મીર સમુદાયનો 16 વર્ષીય કિશોર અને 15 વર્ષીય કિશોરી વચ્ચે પ્રેમસંબંધ પરિવારને પસંદ ન હોવાથી ભાગી આવ્યાં. ચાર દિવસ અગાઉ રાત્રિના 12 વાગે તેઓ ઘરેથી બે લિટર પાણી અને થોડુંક જમવાનું લઈને નીકળ્યાં હતાં. તેઓ બીજા દિવસે ત્યાં રસ્તામાં આવતા એક ટાપુ પર રાત રોકાયાં હતાં, જ્યાં વરસાદી પાણી પી ને બીજા દિવસે સવારે ત્યાં રણનું પાણી પાર કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ પ્રેમી પંખીડાએ જે તે સમયે તેઓ સગીર હોવાનું જણાવ્યું હતું જોકે, મેડિકલ તપાસમાં આ બન્ને પુખ્તવયના હોવાનું ખુલ્યું હતું. 'લાકડા કાપતા શ્રમિકે સૌપ્રથમ પ્રેમી-પંખીડાને જોયા'આ અંગે રતનપર ગામના સરપંચે દિવ્ય ભાસ્કર ડીજીટલને વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, આમ તો એક દિવસ પહેલા જ પ્રેમી યુગલની હાજરી આ વિસ્તારમાં જણાઈ આવી હતી. રતનપર ગામની સિમમાં આવેલા સાંગવારી માતાજીના મંદિર પાસેના જંગલ વિસ્તારમાં તેઓ જોવા મળ્યા હતા, પરંતુ તે સમયે સ્થાનિક લોકોને હાથ લાગ્યા ના હતા. આ દરમિયાન વહેલી સવારે મંદિર પાસેની બાવળની ઝાડીમાં લાકડા કાપતા શ્રમિકને છોકરો અને છોકરી પોતાના ખાટલામાં સુતેલા જોવા મળ્યા હતા. બાદમાં સૂર્યોદય થતા બન્ને સાથે વાત કરી પૂછપરછ કરતા કંઈક શંકાસ્પદ લાગ્યું હતું. તેથી શ્રમિકોએ મને જાણ કરી હતી. તેથી સવારના 9 વાગ્યાના અરસામાં હું અન્ય નાગરિકો સાથે સાંગવારી મંદિર પાસે પહોંચ્યો હતો અને યુગલ સાથે વાતચિત કરી હતી. 'અમે ગુગલમાં ગામનું નામ સર્ચ કર્યું તો પાકિસ્તાની હોવાનું જણાયું'સૌ પ્રથમ તેમનું નામ સરનામું પૂછતાં બન્નેએ સિંધી ભાષામાં યાદ ના હોવાનું કહ્યું હતું. જોકે, બાદમાં ભણેલી લાગતી છોકરીએ હિન્દીમાં વાત શરૂ કરી હતી અને વિશ્વાસ બેસતા પોતાના ગામનું નામ લસરી બતાવ્યું હતું. આ ગામનું નામ ગૂગલમાં સર્ચ કરતા અહીંથી 40 કિમિ દૂર પાકિસ્તાનમાં હોવાનું સામે આવ્યું હતું. પાકિસ્તાનનું નામ આવતા જ છોકરાની તપાસ કરી હતી પરંતુ કંઈ મળ્યું ના હતું, જ્યારે છોકરીએ પહેરેલી ઘડિયાળ આપતા તેનું નિરીક્ષણ કર્યું હતું પણ તેમાંય કંઈ નામ જોવા મળ્યું ના હતું. આખરે સાથી મિત્રએ પારકર ભાષા જે કચ્છી સિંધીના મિશ્રણ સમાન છે. તે રીતે વાત કરતા તેમણે પોતાની આપવીતી જણાવી હતી. છોકરીએ કહ્યું- 'મારા દાદાએ અમને હિન્દુસ્તાન ભાગી જવાનું કહ્યું હતું'છોકરીએ જણાવ્યું હતું કે, અમે બન્ને એક જ જ્ઞાતિના છીએ અને એકમેકના પ્રેમમાં છીએ, પરંતુ પરિવારજનો લગ્નની મંજૂરી આપતા ના હોય ઘરેથી ભાગીને આવ્યા છીએ. મેં ગળાફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયત્ન પણ કર્યો હતો. જેને લઈ મારા દાદાએ અમને હિન્દુસ્તાન ભાગી જવાનું કહ્યું હતું. આ બાદ સરહદ નજીકના લસરી ગામથી તા.6-10-2025ના રાત્રે ઘરેથી અમે ભાગીને નીકળી આવ્યા હતા. મદદરૂપ થનાર સ્નેહીએ ચંદ્રના પ્રકાશે પંથ કાપવાની સલાહ આપી હતી. એ મુજબ આગળ વધ્યા હતા અને સરહદને ઓળંગી હતી. આગળ ચાલતા રણમાં ભરાયેલા પાણી વચ્ચે ચાલીને અને તરીને વધતા રહ્યા હતા. જ્યાં રાહમાં તેઓએ રાતવાસો કર્યો હતો. સવારે 4 વાગ્યે જાગી ચાલતા- ચાલતા હિલ સુધી પહોંચ્યા હતા. અહિં સાથે લાવેલું ભોજન પૂરું થઈ ગયું હતું અને વરસાદી પાણી પીને તરસ છીપાવી હતી. '700થી 800 મીટર ઊંચી અને ખડતલ હિલ પાર કરવી ખુબ જ મુશ્કેલ'સરપંચે વધુમાં જણાવ્યું કે, આ હિલ 700થી 800 મીટર ઊંચી અને ખડતલ છે. જે પાર કરવી ખુબજ મુશ્કેલ છે. આ હિલ ચડવા માટે તેમણે કહ્યું કે સવારે 8 વાગ્યે પ્રયાણ કર્યું હતું અને વિના સેફટીએ બન્ને જણ સાંજે 5 વાગ્યે ડુંગરની ટોચ ઉપર પહોંચ્યા હતા. થાકેલા બન્ને ત્યાં સુઈ ગયા હતા. તા.7-10-2025ના પરોઢિયે જાગીને તળેટીએ નીચે રહેલા તલાવડીના પાણી પીને રતનપર તરફના સિમ વિસ્તારમાં ઝાડી કાપતા શ્રમજીવીના ખાટલાઓ પર આવી બને સુઈ ગયા હતા. લોકોને આવતા જોઈ ઝાડીમાં છુપાઈ ગયા હતા. આખરે તા. 8-10-2025ના મંદિરે આવીને સુઈ ગયા હતાં અને સ્થાનિકોની નજરે ચડ્યા હતા. આ લાંબી વાતચીત દરમિયાન બીટ પોલીસ જમાદાર અજયસિંહ ઝાલા સાથી કર્મી સાથે પહોંચી આવ્યા હતા અને બન્નેનો કબજો કઈ પોલીસ મથકે લઈ ગયા હતા. ત્યારબાદ રાત્રે પોલીસ અધિકારી અને બીએસએફ દ્વારા પૂછપરછ હાથ ધરાઈ હતી. કચ્છમાં પાક. પ્રેમીના બે કિસ્સાતારીખ 16-07-2020ના રોજ પાકિસ્તાની પ્રેમિકાને મળવા જતા મહારાષ્ટ્રના યુવકને કચ્છ સરહદ પરથી BSFએ ઝડપી પાડ્યો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાનની કરાચીની કથિત યુવતીના પ્રેમમાં પાગલ બનેલા યુવકે પ્રેમિકાને મળવા કચ્છના રણ તરફનો માર્ગ પસંદ કર્યો અને પાકિસ્તાન જવા નીકળ્યો હતો. તારીખ 25-09-2024ના રોજ પાકિસ્તાનના પંજાબમાં સ્થિત ગર્લફ્રેન્ડના એકતરફી પ્રેમમાં પાગલ જમ્મુ-કાશ્મીરનો યુવક ભારત પાકિસ્તાનની બોર્ડર ક્રોસ કરતાં ખાવડા પાસેથી ઝડપાયો હતો. ખાવડા પોલીસે પૂછપરછ બાદ કંઇ શંકાસ્પદ ન જણાતાં તેને છોડી દેવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 3:08 pm

ભેંસાવહીમાં આદિવાસી પરંપરા મુજબ ગામસાઈ ઇન્દની ઉજવણી:15 લાખના ખર્ચે 61 વર્ષ બાદ દેવોની પેઢી બદલવામાં આવી

છોટાઉદેપુર જિલ્લાના ભેંસાવહી ગામે 61 વર્ષ બાદ આદિવાસી પરંપરા મુજબ 'દેવોની પેઢી બદલી' ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે. ગામના લોકોએ 15 લાખ રૂપિયાના ખર્ચે ધામધૂમપૂર્વક આ 10 દિવસીય ઉત્સવમાં ભાગ લીધો હતો. સદીઓ જૂની આ પરંપરા અંતર્ગત, ગામની સુખાકારી અને પ્રગતિ જળવાઈ રહે તે માટે દેવસ્થાનોનું નવીનીકરણ કરવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લામાં વસતો આદિવાસી સમુદાય પોતાની કલા, સંસ્કૃતિ અને પરંપરાઓને આજે પણ જીવંત રાખે છે. ગ્રામીણ વિસ્તારોમાં દેવી-દેવતાઓના આયખા સાગના લાકડામાંથી બનેલા હોય છે અને ખુલ્લી જગ્યા પર સ્થાપિત હોય છે. વર્ષો બાદ આ આયખા જીર્ણ થઈ જાય ત્યારે તેના નવીનીકરણની પ્રક્રિયાને 'દેવોની પેઢી બદલી' અથવા 'દેવોના લગ્ન લીધા' તરીકે ઓળખવામાં આવે છે. આ નવીનીકરણ માટે ગામના લોકો ભેગા મળીને ખર્ચ સરખે હિસ્સે વહેંચે છે. જેતપુર-પાવીના ભેંસાવહી ગામે 850 પરિવારોએ પ્રત્યેક પરિવારે ₹1500નું ફંડ આપ્યું હતું, જ્યારે આર્થિક રીતે સદ્ધર પરિવારોએ ₹12,000 સુધીનું યોગદાન આપ્યું હતું. કુલ ₹15 લાખના ખર્ચે યોજાયેલા આ ઉત્ સવમાં ગામની સીમમાં સ્થાપિત 19 જેટલા દેવી-દેવતાઓના આયખાઓની પેઢી બદલવામાં આવી હતી. 10 દિવસ સુધી ઉપવાસ રાખી, આસ્થા અને ઉલ્લાસ સાથે નાચગાન કરીને આદિવાસી સમુદાયે પોતાની પરંપરા જાળવી રાખી અને ગામની એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 3:02 pm

જેતલપુર બ્રિજ આજથી બંધ:બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને લઈ આજેથી જેતલપુર બ્રિજ બંધ કરાયો, જાણો વૈકલ્પિક માર્ગ કયો રહેશે

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સી-5 પેકેજ હેઠળ વડોદરામાં ચાલી રહેલી સિવિલ વર્કને કારણે શહેરના મુખ્ય માર્ગ ગણાતો જેતલપુર બ્રિજ આજેથી બંધ કરવામાં આવ્યો છે. જેતલપુર રેલવે ઓવરબ્રિજ પરના કામોને લીધે વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ અપનાવવા સૂચના અગાઉથી જ જારી કરવામાં આવી હતી. જો કે આજથી જેતલપુર બ્રિજ બંધ થતા વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગ અપનાવવા સૂચના કરવામાં આવ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કામગીરીન કારણે આજથી શહેરના જેતલપુર (સ્વામી વિવેકાનંદ) રેલવે ઓવરબ્રિજ ઉપર ગર્ડર લોન્ચિંગનું કામ હાથ ધરવાનું હોવાથી બંધ કરવામાં આવ્યો છે. આ કામ માટે 14 નવેમ્બર 2025થી 29 નવેમ્બર 2025 સુધી જેતલપુર ઓવરબ્રિજ તેમજ નીચેનો રેલવે અંડરપાસ તમામ વાહનો માટે બંધ બંધ રાખવાની સૂચનાઓ જારી કરવામાં આવી હતી, જો કે આ બ્રિજ આજે બંધ કરતા કેટલાક વાહન ચાલકો અટવાયા હતા. - પ્રતિબંધિત રસ્તો: ચકલી સર્કલથી વલ્લભચોક સર્કલ થઈ જેતલપુર બ્રિજ થઈ સૂર્ય પેલેસ ચાર રસ્તા થઈ ભીમનાથ નાકા તરફ અવરજવર. તેમજ જેતલપુર ઓવરબ્રિજ નીચેના રેલવે અંડરપાસમાંથી પસાર થઈ શકાશે નહીં. - વૈકલ્પિક માર્ગ: અલકાપુરી રેલવે ગરનાળા અંડરપાસ તેમજ અકોટા-દાંડિયા બજાર બ્રિજ થઈ જે તરફ જવું હોય તે તરફ.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 2:55 pm

ગુજરાતમાં પ્રથમ ક્રમે જસદણ તાલુકો:રાજકોટ શહેરમાં ધીમી ગતિએ અને જિલ્લામાં પુરજોશમાં SIR કામગીરી ચાલુ, BLO એપમાં ટેક્નિકલ ખામીઓ આવતા કરાઈ રજુઆત

રાજકોટ શહેર જિલ્લામાં SIR કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. તેમાં પણ રાજકોટ જિલ્લાનો જસદણ તાલુકો આ કામગીરી અંતર્ગત સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યો છે. જયારે BLO એપ્લિકેશનમાં કેટલીક ટેક્નિકલ ખામીઓ આવતા જિલ્લા કલેકટર દ્વારા ઉપર સુધી રજુઆત કરી આ પ્રશ્ન હલ કરવા માટે રજુઆત કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા પણ ચાલુ છે જેમાં 33 સ્થળ ઉપર ખરીદી કરી આજ દિવસ સુધીમાં કુલ 20,824 ખેડૂતોની 353 કરોડની 4.87 લાખ કવીન્ટલ મગફળી ખરીદ કરવામાં આવી છે. 35% ઇન્યુમરેશન ફોર્મ્સનું ડિજિટાઈઝેશન પૂર્ણ થઈ ચૂક્યું રાજકોટ જિલ્લા કલેકટર ઓમ પ્રકાશ દ્વાર નિવેદન આપતા જણાવવામાં આવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં મતદાર નોંધણી (ઇન્યુમરેશન) ફોર્મ્સના ડિજિટાઈઝેશનની કામગીરીએ ગતિ પકડી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 35% ઇન્યુમરેશન ફોર્મ્સનું ડિજિટાઈઝેશન પૂર્ણ થઈ ચૂક્યું છે, જેના કારણે રાજકોટ જિલ્લો રાજ્યમાં સાતમા ક્રમે છે. જિલ્લાના તમામ આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર્સ દ્વારા આ કામગીરી માટે સરાહનીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજકોટ ગ્રામ્ય, જસદણ, ગોંડલ, જેતપુર અને ધોરાજી તાલુકામાં સારી કામગીરી કરવામાં આવી છે. જેમાં પણ જસદણ તાલુકો રાજ્યભરમાં સૌથી વધુ (હાઇએસ્ટ) કામગીરી પૂર્ણ કરીને રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યું છે. જો કે શહેરી વિસ્તારમાં રાજકોટ ઈસ્ટ, રાજકોટ વેસ્ટ અને રાજકોટ સાઉથ વિધાનસભા બેઠક પરની કામગીરી 25%થી ઓછી છે, જેને ઝડપી બનાવવાની જરૂરિયાત છે. BLO એપમાં કેટલીક ટેકનિકલ ખામીઓ સર્જાઈ રહી છે ઇન્યુમરેશન કામગીરીમાં વપરાતી BLO એપમાં કેટલીક ટેકનિકલ ખામીઓ સર્જાઈ રહી છે, જેની અધિકારીઓએ નોંધ લીધી છે. આ ખામીઓને સ્ટેટ લેવલ (રાજ્ય કક્ષાએ) પર SIR ગુજરાત ગ્રુપ દ્વારા સમયાંતરે ચકાસવામાં આવે છે. અન્ય રાજ્યોમાં પણ આ એપનો ઉપયોગ થતો હોવાથી એકસાથે ઘણી બધી કામગીરીને કારણે અમુક ઇશ્યુઝ આવી રહ્યાનો જિલ્લા કલેકટરે સ્વીકાર કર્યો હતો અને તમામ ટેકનિકલ સમસ્યાઓનું રિયલ-ટાઇમ નિરાકરણ લાવવાના પ્રયત્નો ચાલુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 353 કરોડની 4.87 લાખ કવીન્ટલ મગફળી ખરીદ કરવામાં આવી 9 નવેમ્બરથી મગફળીની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવી રહી છે અને આ કામગીરી 90 દિવસ એટલે કે 9 ફેબ્રુઆરી સુધી ચાલનાર છે. રાજકોટ જિલ્લામાં અંદાજિત 1.77 લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે જે પૈકી 20,824 ખેડૂતો પાસેથી મગફળી ખરીદ કરવામાં આવી છે. જેમાં કુલ 353 કરોડની 4.87 લાખ કવીન્ટલ મગફળી ખરીદ કરવામાં આવી છે. દરરોજની કામગીરી અંગે તમામ પ્રાંત અધિકારી દ્વારા મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સોયાબીન માટે કુલ 15282 ખેડૂતોએ એનરોલમેન્ટ કર્યું છે અને અત્યાર સુધી કુલ 305 ખેડૂતોના સોયાબીન લઇ લેવામાં આવ્યા છે જેમાં કુલ 4481 કવીન્ટલ સોયાબીન લેવામાં આવી છે જેની કિંમત લગભગ 238 લાખ થાય છે. કૃષિ રાહત પેકેજ માટે કુલ 1.12 લાખ અરજીઓ મળી ઉલ્લેખનીય છે કે રાજકોટ સહીત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના પગલે ખેડૂતોના પાકને થયેલ નુકશાન અંગે સર્વે બાદ સરકાર દ્વારા રાહત પેકેનની જાહેરાત કરવામાં આવી છે જેમાં રાજકોટ જિલ્લામાં કૃષિ રાહત પેકેજ માટે કુલ 1.12 લાખ અરજીઓ તંત્રને મળી છે અને 652 ગામડાઓમાં આ કામગીરી ચાલુ છે તેમજ આગામી 29 નવેમ્બર સુધી બાકી રહેતા તમામ ખેડૂતો પણ રજિસ્ટ્રેશ કરાવી શકાશે જે બાદ ખેડૂતોને સહાય ચુકવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 2:54 pm

કંગના રનૌતે ભગવાન સોમનાથના ચરણોમાં શીશ ઝૂકાવ્યું:ભાણેજ સાથે મહાદેવ દર્શન કર્યા; કહ્યું- ભારતીય સંસ્કારની ઓળખ પ્રબળ થાય તે માટે પૃથ્વીરાજને લઈ આવી છું

બોલિવૂડ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડી લોકસભાના સાંસદ કંગના રનૌત આજે (20 Nov) પવિત્ર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધાર્યા હતા. તેમણે ભક્તિભાવપૂર્વક મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવી, જળાભિષેક કર્યો અને ધ્વજાપૂજા સાથે મધ્યાહન આરતીના દિવ્ય દૃશ્યો નિહાળી આત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો. ભાણેજ પૃથ્વીરાજ સાથે દર્શનાર્થે પધાર્યાકંગના રનૌત હાલ ગુજરાતના આધ્યાત્મિક પ્રવાસે છે, જેમાં તેમણે ગીરના પ્રાકૃતિક સૌંદર્યની મુલાકાત લીધા બાદ સોમનાથ અને દ્વારકાધીશના દર્શન પૂરાં કરી રહી છે. તેઓ આજે તેમના ભાણેજ પૃથ્વીરાજ ચંદેલ સાથે દર્શનાર્થે પધાર્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, આજના બાળકો વિદેશી સંસ્કૃતિના આકર્ષણમાં વધુ ગૂંથાઈ જતાં હોય છે, તેથી ભારતીય પરંપરા અને સંસ્કારની ઓળખ પ્રબળ થાય તે માટે હું પૃથ્વીરાજને અહીં લઈ આવી છું. PM મોદીના આધ્યાત્મિક ટુરિઝમની ગતિને વખાણીકંગના રનૌતે મંદિર પરિસરમાં મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં આધ્યાત્મિક ટુરિઝમ (Spiritual Tourism)ને આપવામાં આવી રહેલી ગતિ અને પ્રોત્સાહનને ખૂબ વખાણી હતી. તેમણે મહાદેવ સમક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘ આયુષ્ય અને તેમના દ્વારા કરવામાં આવી રહેલા જનકલ્યાણકારી કાર્યોની સફળતા માટે પણ પ્રાર્થના કરી હતી. સોમનાથ ટ્રસ્ટ તરફથી માતા પાર્વતીને ચડાવેલી પ્રસાદ સાડી ભેટરૂપે અર્પણસોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કંગના રનૌતને માતા પાર્વતીને ચડાવેલી પ્રસાદ સાડી ભેટરૂપે અર્પણ કરવામાં આવી હતી. આ ક્ષણને કંગનાએ પોતાના જીવનનું પાવન સૌભાગ્ય ગણાવ્યું હતું. તેમણે ભાવવિભોર બની જણાવ્યું કે, સોમનાથ મહાદેવના ચરણોમાં આવતાં જ મનધારા એકદમ ધ્યાનમગ્ન થઇ જાય છે. તેમણે મંદિર પરિસરની યાત્રી સુવિધાઓને પણ ખૂબ જ બેનમૂન ગણાવીને વખાણ કરી હતી.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 2:41 pm

ઘરની બહાર નીકળતા ધ્યાન રાખજો, પ્રદૂષણ ખતરનાક સ્તરે:ગુજરાતના ચાર મુખ્ય શહેરોમાં AQI 180ને પાર, અમદાવાદ-રાજકોટમાં પાંચ વર્ષનો રેકોર્ડ તૂટ્યો; તબીબોએ ચેતવ્યા

ગુજરાતમાં શિયાળાની શરૂઆતની સાથે છેલ્લા 15 દિવસથી હવામાં પ્રદૂષણના સ્તરમાં વધારો થયો છે. ગુજરાતના ચાર મુખ્ય શહેર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પ્રદૂષણનું સ્તર 180ને પાર થઈ જતા તબીબોએ લોકોને ચેતવ્યા છે. આ શહેરોમાં સવારના અને સાંજના સમયે તો AQI (એર ક્વોલિટી ઈન્ડેક્સ)નું સ્તર 200ને પાર પહોંચી જાય છે. જેને અનહેલ્થી ગણવામાં આવે છે. મહાનગરોનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 180ને પાર પહોંચવા લાગતા તબીબોએ લોકોને ચેતવ્યા છે. ખાસ કરીને શ્વાસ અને હ્રદયરોગના દર્દીઓે વહેલી સવારે અને રાત્રિના સમયે બહાર ન નીકળવા સલાહ આપી છે. જો બહાર નીકળવાનું થાય તો N-95 માસ્ક પહેરવા સલાહ આપવામાં આવી છે. નવેમ્બર 2025માં AQIની વાત કરીએ તો અમદાવાદ અને રાજકોટમાં તો છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. ગુજરાતના મહાનગરોમાં નવેમ્બર મહિનામાં AQIમાં કેટલો વધારો થયો છે અને અનહેલ્થી સ્તરે પહોંચેલા આ સ્તરના કારણે દર્દીઓને અને સામાન્ય લોકોની હેલ્થને લઈ તબીબો શું કહી રહ્યા છે તે જાણીએ. અમદાવાદ અને રાજકોટમાં નવેમ્બરમાં પાંચ વર્ષનો રેકોર્ડ તૂટ્યોઅમદાવાદ અને રાજકોટમાં નવેમ્બર મહિનાની શરૂઆત સાથે AQI 180ને પાર પહોંચવા લાગ્યો છે. અમદાવાદ શહેરમાં આ વર્ષે 19મી નવેમ્બરે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ 194 અને રાજકોટમાં 197 AQI નોંધાયો હતો. AQI 200ની નજીક પહોંચવા લાગતા તબીબોએ લોકોને ચેતવ્યાAQIમાં થઈ રહેલા વધારાની સામાન્ય લોકો અને દર્દીઓના આરોગ્ય પર શું અસર થઈ શકે છે. તે જાણવા ભાસ્કરે તબીબો સાથે વાત કરી હતી. જનરલ ફિઝિશિયન ડોક્ટર મિતાલી સમોવાએ જણાવ્યું હતું કે, દિવાળીથી લઈને અત્યાર સુધીમાં અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 180 આસપાસ નોંધાઈ રહ્યો છે. ત્યારે એનાથી બાળકો, વૃદ્ધો અને ખાસ કરીને ફેફસાના દર્દીઓને આનાથી સૌથી વઘુ નુકસાન થતું હોય છે. આ એર ક્વોલિટી બગડવાને કારણે અને પ્રદૂષણને કારણે બાળકો અને વડીલોમાં અસ્થમાના રોગથી પીડાતા દર્દીઓમાં ખાસ કરીને તેની અસર થતી હોય છે. આવા લોકોને છાતીમાં ભાર જેવું અનુભવ થઈ શકે, એલર્જી થઈ શકે, છીંકો આવી શકે. અત્યારે શ્વાસની બીમારી ધરાવતા દર્દીઓ હોસ્પિટલમાં એડમિટ થતા જોવા મળતા હોય છે. ખૂબ નાના બાળકોમાં તો ન્યુમોનિયા અને અન્ય રોગના લીધે મૃત્યુ થવાના કેસ પણ વધતા જોવા મળે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આપણે જવાબદારી પૂર્વક પ્રદૂષણ ઓછું થાય તેને લઈને વધુમાં વધુ પ્રયત્ન કરીએ. બિનજરૂરી ધુમાડો કે એવી કોઈ વસ્તુનો ઉપયોગ ન કરીએ. ઘરે એર પ્યોરીફાયર વસાવી શકાય અને બહાર જતી વખતે N-95 અથવા N-99 ફેસ માસ્ક પહેરી શકાય.વહેલી સવારે અને રાત્રે મોડા બહાર નીકળવાનું ટાળવું જોઈએ. શ્વાસ અને હ્રદયરોગના દર્દીઓ બહાર નીકલવાનું ટાળે- ડો. જિગ્નેશ શાહઅમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો. જિગ્નેશ શાહે જણાવ્યું હતું કે, અત્યારે અમદાવાદમાં પ્રદૂષણનું પ્રમાણ ખૂબ જ વધારે થઈ ગયું છે. શિયાળામાં હવાનું પ્રમાણ ઓછું થઈ જાય અને જે બધા પ્રદૂષિત કરતા તત્વો જેમ કે ધૂળના રજકણો છે, ગેસ છે કે કન્સ્ટ્રક્શનનું બધું જે મટીરીયલ છે એ હવામાં નીચલા સ્તરે રહે અને એટલા કારણે દરેક શિયાળામાં આ થવાની શક્યતા વધારે રહે. પરંતુ જ્યારે પ્રદૂષણનું પ્રમાણ જ્યારે વધારે હોય ત્યારે નાના બાળકો, વડીલો, જેમને દમની બીમારી હોય કે હ્રદયની બીમારી હોય તેવા લોકો માટે આવા સમયમાં બહાર નીકળવું ઘણીવાર તબિયતને નુકસાનકારક થઈ શકે છે. તો બહાર જવાનું ટાળો અને જો બહાર જવાનું થાય જ, તો શક્ય હોય તો N95 માસ્ક પહેરો. ઘરમાં બારી-દરવાજા બંધ રાખો અને જો પોસિબલ હોય તો એર પ્યુરિફાયર વાપરો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ પ્રદૂષણનું પ્રમાણ ખાલી દર્દીઓને અસર નથી કરતું. નોર્મલ તંદુરસ્ત માણસને પણ આંખમાં બળતરા થવી, ગળામાં ખીચખીચાટ થવી, શ્વાસ લેવામાં તકલીફ પડી આવા નોર્મલ માણસોને પણ આ થઈ શકે. એટલે દરેક માણસોએ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. શું છે એર ક્વોલિટી ઇન્ડેક્સ?AQI જાણવા માટે વિવિધ પ્રકારના પ્રદૂષકોનું અવલોકન કરવામાં આવે છે અને એની માત્રા માપવામાં આવે છે. એના માટેની એક સ્ટાન્ડર્ડ પ્રક્રિયા છે. AQIનો સ્તર સૂચવે છે કે વાયુ-પ્રદૂષણ વધી રહ્યું છે કે ઘટી રહ્યું છે. AQIની રેન્જ 0થી 500 વચ્ચે હોય છે. AQI જેટલો ઓછો એટલી હવા સારી અને જેમ જેમ AQI વધે અમ અમ પ્રદૂષણ વધ્યું ગણાય. એર ક્વોલિટી ઇન્ડેક્સને વિવિધ સ્ટેજમાં ડિવાઇડ કરવામાં આવ્યો છે. વળી, દરેક સ્ટેજને એક ખાસ કલર કોડ આપવામાં આવ્યો છે, જેથી સરળતાથી જાણી શકાય અને સમજી પણ શકાય કે હવા કેટલી શુદ્ધ છે અને કેટલી પ્રદૂષિત છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ મુજબ જો હવાની ગુણવત્તાનો સ્કોર 0-100 વચ્ચે આવે તો સારી ગણાય, 101થી 200 વચ્ચે સાધારણ અને 201થી 300 વચ્ચે ખરાબ કહેવાય છે. જો 301થી 400 વચ્ચે હોય તો ખૂબ જ ખરાબ કહેવાય અને 401થી 500 વચ્ચે હોય તો તે અત્યંત ખરાબ કહેવાય છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 2:37 pm

જનરલ બોર્ડમાં 2.5 વર્ષ બાદ વિપક્ષનો પ્રશ્ન ચર્ચાયો:રાજકોટમાં ફ્લાવર બેડ, બિલ્ડીંગ યુઝ પરમિશન (BU) મામલે વિપક્ષ આક્રમક, બિલ્ડરોને બચાવવાનો આક્ષેપ, ભાજપનાં પ્રશ્નો હોય તો શાંતિથી સાંભળવા સ્ટે. ચેરમેને ટકોર કરી

રાજકોટ મહાનગરપાલિકાની દ્વિમાસિક જનરલ બોર્ડની બેઠક આજે મળી હતી. જેમાં અઢી વર્ષના લાંબા ગાળા બાદ પ્રથમ વખત વિપક્ષનો પ્રશ્ન એજન્ડામાં પ્રથમ ક્રમે આવતા તેની ચર્ચા થઈ હતી. વિપક્ષનાં નેતા વશરામ સાગઠીયાએ બોર્ડમાં ફ્લાવર બેડ અને બિલ્ડિંગ યુઝ (BU) પરમિશનના મુદ્દાઓ ઉઠાવીને શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. જવાબમાં મ્યુ. કમિશ્નર તુષાર સુમેરાએ વૉર્ડવાઇઝ કામગીરીની યાદી બોર્ડમાં રજૂ કરી હતી. જોકે રાજકોટ સિવાયની કોઈ મહાનગરપાલિકા આ ચાર્જ વસુલતી ન હોવાનો દાવો વશરામ સાગઠિયા દ્વારા કરવામાં આવ્યો હતો. બોર્ડમાં ચાલતી પ્રશ્નોતરીમાં શાસક પક્ષ શાંત રહ્યો હતો. બોર્ડના અંતે સ્ટે. ચેરમેનએ વિપક્ષને પણ ભાજપનાં પ્રશ્નો ચર્ચાય ત્યારે શાંતિ રાખવા ટકોર કરી હતી. BU પરમિશન પરનાં સવાલ-જવાબ વિપક્ષ નેતા વશરામ સાગઠીયાએ ફ્લાવર બેડ તેમજ બિલ્ડિંગ યુઝ (BU) સર્ટી મામલે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને અત્યાર સુધીમાં બી.યુ. સર્ટી મામલે કુલ કેટલી અરજીઓનો નિકાલ થયો છે અને કેટલી અરજીઓ પેન્ડિંગ છે તેની વિગતો માંગી હતી. આ પ્રશ્નના જવાબમાં મ્યુ. કમિશનર તુષાર સુમેરાએ વૉર્ડ વાઇઝ કામગીરીની યાદી બોર્ડમાં રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધી 99 જેટલી અરજીઓ આવી છે. રાજ્ય સરકારનો નિર્ણય આવ્યા બાદ અત્યાર સુધીમાં 8 બિલ્ડિંગ યુઝ પરમિશન (BU) નવા નિયમ મુજબ આપવામાં આવી છે, જે રાજ્ય સરકારના જી.આર.ને ધ્યાને રાખીને અપાઈ છે. જોકે, વિપક્ષ દ્વારા તારીખ માંગવામાં આવતા મ્યુ. કમિશ્નરે ગલ્લા તલ્લા કર્યા હતા. ફ્લાવર બેડ મુદ્દે વિપક્ષના આકરા આરોપ વશરામ સાગઠીયાએ ફ્લાવર બેડના મુદ્દે રજૂઆત કરી હતી અને સ્પષ્ટ આરોપ લગાવ્યો હતો કે રાજકોટ સિવાય ગુજરાતની એક પણ મહાનગરપાલિકા, જેમ કે અમદાવાદ, વડોદરા કે સુરતમાં ફ્લાવર બેડનો કોઈ વધારાનો ચાર્જ વસૂલવામાં આવતો નથી. રાજકોટમાં આ ચાર્જ વસૂલવામાં આવતા મકાન-ફ્લેટ ધારકો અને પ્રજાના માથે બોજો આવશે. તેમણે જણાવ્યું કે, ફ્લાવર બેડ એટલે બાલ્કની જેવી વધારાની જગ્યાઓ જે વપરાશમાં લેવાય છે. જ્યારે બિલ્ડરો 10 બાય 10 ફૂટના રૂમનો જ ટેક્સ કોર્પોરેશનમાં ભરે છે. પરંતુ તે જ બિલ્ડરો 100 ફૂટનું બાંધકામ થયું હોય તો પણ લોકો પાસેથી 140 ફૂટના પૈસા ઉઘરાવે છે. હવે સરકારે જે નિયમ ખુલ્લો કર્યો છે, તેમાં એક રૂમ દીઠ 40 ફૂટનો વધારો ભરવાનો આવશે, આ બોજો બિલ્ડરોને બદલે ફ્લેટ ધારકોએ ભોગવવો પડશે. વશરામ સાગઠીયાએ આક્ષેપ કર્યો કે આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક રાજકોટની ભાજપ નેતાગીરી ટૂંકી પડી છે. તેમણે સવાલ કર્યો કે, અમદાવાદ,વડોદરા, સુરતની અન્ય મહાનગરપાલિકાઓમાં જો ફ્લાવર બેડનો ચાર્જ ન લેવાતો હોય તો રાજકોટમાં શા માટે લેવામાં આવી રહ્યો છે. તેમનો સ્પષ્ટ મત હતો કે આ નિર્ણયથી બિલ્ડરો છટકી જશે અને ટેક્સ ભરવાની જવાબદારી આખરે પ્રજાના શિરે આવશે. શાસક પક્ષનો પ્રતિભાવ વિપક્ષના આક્ષેપોનો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરએ જવાબ આપતા જણાવ્યું કે પ્રજાના હિતનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. તો વિપક્ષના આરોપોને ફગાવતા જણાવ્યું કે આ સ્કીમનો લાભ માત્ર બિલ્ડરોને નહીં, પરંતુ તમામ ફ્લેટ ધારકોને પણ મળશે. જયમીન ઠાકરે વિપક્ષના નેતા સાગઠીયાના પ્રશ્નોને શાંતિપૂર્વક સાંભળવા બદલ શાસક પક્ષના તમામ સભ્યોની પ્રશંસા કરી હતી. સાથે જ તેમણે વિપક્ષને પણ ટકોર કરી હતી કે જ્યારે ભાજપના કોર્પોરેટરોના પ્રશ્નો પ્રથમ હોય ત્યારે વિપક્ષે પણ એટલી જ શાંતિપૂર્વક સાંભળવું જરૂરી છે. ડે. કમિશ્નરની નિયુક્તિ સહિત 12 દરખાસ્તો મંજૂર આજે જનરલ બોર્ડનાં એજન્ડા પર પ્રશ્નોત્તરી ઉપરાંત નામકરણ સહિતના કુલ 12 પ્રસ્તાવ (દરખાસ્ત) રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં સૌથી મહત્ત્વપૂર્ણ દરખાસ્ત નાયબ મ્યુનિ. કમિશનર વર્ગ-1ની નિયુક્તિ અંગેની હતી.મનપાના નાયબ મ્યુનિ. કમિશનરની ખાતાકીય ભરતીમાં ઓફિસર સિલેક્શન કમિટીએ તાજેતરમાં હર્ષદભાઇ પટેલની પસંદગી કરી છે, જેને જનરલ બોર્ડની બહાલી મળી છે. સાંસદ સહિતનાને જમીન કપાતનું વળતર મંજૂર આ ઉપરાંત સાંસદ સહિતનાને જમીન કપાતનું વળતર આપવાનું પણ મંજુર કરાયું છે. જેમાં શહેરના વોર્ડ નં. 2 માં આવેલા કમલમ કાર્યાલય રોડ પર ભાજપના સાંસદ રામભાઇ મોકરીયા સહિતના આસામીઓની જમીન 'લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ' હેઠળ કપાત કરીને રસ્તાને 8 મીટરથી 12 મીટરનો કરવામાં આવ્યો છે. તેઓને બદલામાં જમીન, વળતર, કે FSIનો વિકલ્પ આપવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં અગાઉ વિવાદો વચ્ચે ત્રણ વખત પેન્ડિંગ રહ્યા બાદ મંજૂર થઈ હતી, જે આજના જનરલ બોર્ડમાં પણ મંજુર કરી દેવામાં આવી છે. અન્ય દરખાસ્તોમાં શહેરમાં 1056 આવાસોના લાભાર્થી નક્કી કરવા, વોર્ડ નં. 9માં યુનિવર્સિટી રોડ પર ફોરેન્સિક લેબ બાજુના રોડને 'દ્વારકાધીશ માર્ગ' નામ આપવા, વોર્ડ નં. 3માં રેલનગરમાં સ્મશાન સામેના રોડ પર મુરલીધર સોસાયટી (સૂચિત) નજીક આવેલા ચોકને 'મુરલીધર ચોક' નામકરણ કરવાના પ્રસ્તાવ, અને વિવિધ સ્પોર્ટ્સ સુવિધાના ભાડામાં સુધારા સાથે દુકાનોની હરરાજીના વેચાણ સહિતની દરખાસ્તોને પણ આજના જનરલ બોર્ડમાં કોઈપણ વિરોધ વિના મંજુર કરી દેવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 2:02 pm

આજે ગૃહમંત્રી ભાવનગરમાં:ભાજપ કાર્યાલય ભાવ કમલમનું ઉદ્ઘાટન કરશે, ખુલ્લી જીપમાં સવાર થઈ અભિવાદન ઝીલશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ભાવનગર આવી રહ્યા છે. જેના આગમનને લઈ શહેર તેમજ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. બીજી બાજુ સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ રાષ્ટ્રીય સ્તરની સુરક્ષા ટુકડી ભાવનગરમાં હાજર છે. જિલ્લા પોલીસ દ્વારા પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે.શહેરના નારી ચોકડી નજીક આવેલ નાના ખોડીયાર મંદિર નજીક જિલ્લા ભાજપનું નવનિર્મિત ભાવ કમલમ કાર્યાલયનું ઉદ્‌ઘાટન ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થશે. ત્યારબાદ ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ યોજાશે. અમિત શાહ બપોરે 3.15 કલાકે એરપોર્ટ આવશે અને 3.30 વાગ્યે ભાવ કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ સભા સ્થળે અભિવાદન સમારોહ અને 5.10 રવાના થશે. આ કાર્યક્રમને લઈ નારી ચોકડી ખાતે વિશાળ સમિયાણો ઉભો કરવામાં આવ્યો છે. બપોરના 3 વાગ્યા પછી અહીં કાર્યક્રમ શરૂ થશે. આ જિલ્લા ભાજપ કાર્યાલય નજીક જાહેરસભા પણ યોજાશે.વિશાળ ડોમમાં 25 હજારની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં આવનાર લોકો માટે નારી ચોકડી નજીક સભા સ્થળથી દુર બે સ્થળોએ અલાયદી પાર્કીંગ વ્યવસ્થા રાખવામાં આવી છે. સૌ પ્રથમ જિલ્લા ભાજપ કાર્યાલય ‘ભાવ કમલમ’નું ઉદ્‌ઘાટન બાદમાં સભા સ્થળે ખુલ્લી જીપમાં સવાર થઈ કેન્દ્રીય ગૃહમંત્રી, પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓ અભિવાદન ઝીલી સ્ટેજ પર પહોચશે. કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયા, કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા, રાજ્યમંત્રી પરષોત્તમ સોલંકી, રાજ્ય કેબીનેટ મંત્રી જીતુ વાઘાણી તથા ભાવનગર અને બોટાદ જિલ્લાના ધારાસભ્યો, પદાધિકારીઓ, સંગઠન તથા બુથ લેવલના પ્રમુખ અને કાર્યકરો આ સમારોહમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અને પ્રદેશ અધ્યક્ષના કાર્યક્રમ સંદર્ભે ભાજપ સંગઠન અને કાર્યકરોમાં ઉમંગ ઉત્સાહ જાવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 1:58 pm

ધાનપુરમાં કારમાંથી દારૂનો જથ્થો મળ્યો:મધ્યપ્રદેશથી ગુજરાતમાં ઘુસાડાતો ₹7.44 લાખનો દારૂ LCBએ જપ્ત કર્યો

દાહોદ જિલ્લાના ધાનપુર વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા મધ્યપ્રદેશથી ગુજરાતમાં ઘૂસાડાતો ₹7.74 લાખનો ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. એક બોલેરો કારમાંથી 43 પેટીઓ ભરેલો દારૂ અને બિયર મળી આવતા પોલીસે વાહન સહિત મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે, LCBની ટીમે ધાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના નવાનગર ગામે પેટ્રોલિંગ દરમિયાન કારને રોકી હતી. તપાસ કરતાં કારમાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઈંગ્લીશ દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલી 43 પેટીઓમાં કુલ 1104 બોટલો હતી, જેની બજાર કિંમત ₹2,44,176 આંકવામાં આવી છે. દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી બોલેરો ગાડીની કિંમત ₹5,00,000 ગણીને, પોલીસે કુલ ₹7,44,176નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. દાહોદ જિલ્લો રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદે આવેલો હોવાથી, બુટલેગરો દ્વારા સરહદી વિસ્તારોમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના અનેક પ્રયાસો થતા રહે છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે જિલ્લા પોલીસ દ્વારા સતત સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહીબિશન વિરોધી અને મધ્યપ્રદેશમાંથી આવતી દારૂની હેરાફેરી સામે કડક ચેકિંગ અને રેડ કરવામાં આવી રહી છે. આ સફળ કામગીરી પો.ઈન્સ. એસ.એમ. ગામેતી, પો.ઈન્સ. ડી.આર. બારૈયા અને LCB ટીમના કર્મચારીઓ દ્વારા સંયુક્ત રીતે પાર પાડવામાં આવી હતી. કાયદેસરની કાર્યવાહી બાદ ધાનપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે. LCBની આ કાર્યવાહી બુટલેગરો માટે મોટો આંચકો સાબિત થઈ છે અને પોલીસ દ્વારા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ભવિષ્યમાં પણ વધુ કડક પગલાં ભરવાની દ્રઢતા વ્યક્ત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 1:56 pm

હાર્વર્ડ યુનિવર્સિટી: જ્ઞાન અને સત્યની શોધ પ્રત્યે પ્રતિબદ્ધતા:જેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સંશોધકોમાં 188 જીવંત અબજોપતિઓ, 8 US રાષ્ટ્રપતિઓ છે

2010માં આવેલી હોલિવૂડ ફિલ્મ 'સોશિયલ નેટવર્ક' ફેસબૂકને વાપરતા અને નહીં વાપરતા મોટા ભાગના લોકોએ જોઇ હશે. એ ફિલ્મ સોશિયલ નેટવર્ક સાઇટ ફેસબૂકના સ્થાપક માર્ક ઝકરબર્ગે એના હાર્વર્ડ યુનિવર્સિટીના વર્ષો દરમિયાન આ સાઇટ કેવી રીતે લોન્ચ થઇ અને વિવાદમાં ફસાઇ એના પર આધારિત છે. જો કે માર્ક ઝકરબર્ગે હાર્વર્ડનું એનું ભણતર ફેસબુકની સફળતાને આગળ વધારવા અધૂરું મૂક્યું અને ત્યારથી અમેરિકાના વિદ્યાર્થીઓમાં મજાક ચાલે છે કે નાની ઉંમરે ઝકરબર્ગની જેમ અબજોપતિ થવું હોય તો હાર્વર્ડમાં એડમિશન લઇ ને ભણતર અધૂરું મૂકી દેવું! પણ વિશ્વભરમાં સૌથી વધુ નોબેલ ઇનામ વિજેતા આપનાર હાર્વર્ડ યુનિવર્સિટીમાં એડમિશન લઇને એમાં ભણવાનું, નામ અને પૈસા કમાવવાનું સપનું આ પૃથ્વી પરનો દરેક હોંશિયાર વિદ્યાર્થી જુએ છે. 1636માં ન્યૂ કોલેજ તરીકે સ્થાપના થઇપ્રભાવ, સંપત્તિ અને રેન્કિંગે જેને વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંની એક બનાવી છે એવી હાર્વર્ડ યુનિવર્સિટી એ યુનાઇટેડ સ્ટેટ્સના મેસેચ્યુસેટ્સ રાજ્યના કેમ્બ્રિજમાં આવેલી એક ખાનગી આઇવી લીગ સંશોધન યુનિવર્સિટી છે. 1636માં ન્યૂ કોલેજ તરીકે સ્થપાયેલી, યુનાઇટેડ સ્ટેટ્સમાં આવેલી ઉચ્ચ શિક્ષણની સૌથી જૂની સંસ્થા છે. તાજેતરમાં પેલેસ્ટાઇન-ઇઝરાયેલ વિવાદ અને સંઘર્ષ વખતે હાર્વર્ડ યુનિવર્સિટી એના કેમ્પસમાં અમુક વિદ્યાર્થીઓ દ્વારા યહૂદી વિરોધ (એન્ટિ સેમિટિઝમ) દેખાવો માટે ફેડરલ સરકાર દ્વારા જેના ભંડોળમાં કપાત કરવામાં આવી એ યુનિવર્સિટીમાંની એક એવી હાર્વર્ડને એનું નામ તેના પ્રથમ બેનીફિશિયરી પ્યુરિટન પાદરી જોન હાર્વર્ડના નામ પરથી નામ આપવામાં આવ્યું. 18મી સદીમાં ધર્મ નિરપેક્ષતા19મી સદી સુધીમાં અમેરિકાના બોસ્ટનમાં ઉચ્ચ વર્ગમાં સૌથી અગ્રણી શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંસ્થા તરીકે ઉભરી આવનાર હાર્વર્ડ શરૂઆતમાં ઔપચારિક રીતે કોઇપણ પ્રોટેસ્ટંટ સંપ્રદાય સાથે ક્યારેય જોડાયેલું ન હોવા છતાં હાર્વર્ડે કોંગ્રેશનલ પાદરીઓને તાલીમ આપી અને ત્યાર પછી તેનો અભ્યાસ ક્રમ અને વિદ્યાર્થી સંગઠન 18મી સદીમાં ધીમે ધીમે ધર્મનિરપેક્ષ બન્યું. અત્યાર સુધી 53.2 બિલિયન ડોલરનું ડોનેશન મેળવનાર એવી વિશ્વની સૌથી ધનિક શૈક્ષણિક સંસ્થા હાર્વર્ડ 20 મિલિયનથી વધુ ગ્રંથો સાથે વિશ્વની સૌથી મોટી શૈક્ષણિક લાયબ્રેરી ધરાવે છે. પાદરીનું નામ હાર્વર્ડ હતુંજોન હાર્વર્ડ એક પ્યુરિટન પાદરી છે. જે ઇંગ્લેન્ડથી વસવાટ માટે અમેરિકા માઇગ્રેટ થયા હતા. તેમણે આ એ વખતની નવી કોલેજ ને 780 અને લગભગ 320 ગ્રંથોની તેમની લાઇબ્રેરીને વારસામાં આપી અને પછીના વર્ષે તેનું નામ હાર્વર્ડ કોલેજ રાખવામાં આવ્યું એ હાર્વર્ડના પ્રથમ હેડમાસ્ટર નથાલિયાન ઇટાન હતા. સમાજશાસ્ત્રી અને લેખક જેરોમ કારાબેલના મતે, 20મી સદીની શરૂઆતના થોડા દાયકાઓ સુધી જેના વિદ્યાર્થી સંગઠનનો ઝોક મુખ્યત્વે જૂના વર્ગના, ઉચ્ચ દરજ્જાના પ્રોટેસ્ટન્ટ તરફી હતો એવી હાર્વર્ડ યુનિવર્સિટી, 20મી સદીમાં, જેમ જેમ તેની સંપત્તિમાં વધારો થયો અને પ્રખ્યાત બૌદ્ધિકો અને પ્રોફેસરો તેની સાથે જોડાયેલા થયા, તેમ તેમ વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંની એક બની. હજુ 19મી સદીમાં સ્ત્રી વિદ્યાર્થીઓને પ્રવેશ આપનાર હાર્વર્ડે 2007ના રોજ, હાર્વર્ડ રેડક્લિફ ઇન્સ્ટિટ્યૂટના ડીન ડ્રુ ગિલપિન ફોસ્ટને હાર્વર્ડના 28મા અને યુનિવર્સિટીના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે નિયુક્ત કરવા સુધીની સફર કાપી છે. અમેરિકાના 8 રાષ્ટ્રપતિઓ હાર્વર્ડના વિદ્યાર્થી હતાજેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સંશોધકોમાં 188 જીવંત અબજોપતિઓ, 8 યુ.એસ. રાષ્ટ્રપતિઓ, 24 રાજ્યના વડાઓ અને 31 સરકારના વડાઓ, નોંધપાત્ર કંપનીના સ્થાપકો, નોબેલ પુરસ્કાર વિજેતાઓ, ફિલ્ડ્સ મેડલિસ્ટ, કોંગ્રેસના સભ્યો, મેક આર્થર ફેલો, રોડ્સ સ્કોલર્સ, માર્શલ સ્કોલર્સ, ટ્યુરિંગ એવોર્ડ પ્રાપ્તકર્તાઓ, પુલિત્ઝર પુરસ્કાર પ્રાપ્તકર્તાઓ અને ફુલ બ્રાઇટ સ્કોલર્સ નો સમાવેશ થાય છે. મોટાભાગના માપદંડો દ્વારા, હાર્વર્ડ યુનિવર્સિટી આ દરેક શ્રેણીમાં વિશ્વની ટોચની યુનિવર્સિટીઓમાં સ્થાન ધરાવે છે. હાર્વર્ડના વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે 10 એકેડેમી એવોર્ડ્સ અને 110 ઓલિમ્પિક મેડલ પણ જીત્યા છે. જેમાં 46 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. જો તમે હમણાં સૂઇ જશો તો તમે સપના જોશો. જો તમે હમણાં અભ્યાસ કરશો તો તમે તમારા સ્વપ્નને જીવી શકશો. જેવું અર્થપૂર્ણ વિધાન આપનાર હાર્વર્ડનો એક ભૂતપૂર્વ વિદ્યાર્થી આ વિધાન દ્વારા હાર્વર્ડને અને એના શિક્ષણ ને સરસ રીતે વ્યાખ્યાયિત કરી જાય છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 1:47 pm

3 KM દૂરથી ધુમાડાના ગોટેગોટા દેખાયા, VIDEO:સુરતના ઉમરા વેલંજા રોડ પર પતરાના શેડમાં બનાવેલા ગોડાઉન-દુકાનોમાં ભીષણ આગ

સુરતના ઉમરા વેલંજા રોડ પર રંગોલી ચોકડી પાસે આવેલા પતરાના શેડના ગોડાઉન અને દુકાનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ભંગારના ગોડાઉનમાં લાગેલી આગે વિકરાળ ધારણ કરતા આસપાસમાં રહેલી ટાયર સહિતની અન્ય ત્રણ દુકાનોને ઝપેટમાં લીધી હતી. ઘટના અંગેની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ધુમાડાના ગોટા ત્રણ કિલોમીટર દૂરથી દેખાઈ રહ્યા હતા. મળતી માહિતી પ્રમાણે, ઉમરા વેલંજા રોડ પર આવેલી રંગોલી ચોકડી પાસે પતરાના શેડમાં ભંગારનું ગોડાઉન અને તેની આસપાસમાં પતરાના શેડમાં ટાયર ની દુકાન, ફોટો ફ્રેમ ની દુકાન અને ફરસાણની દુકાન સહિત સાત જેટલી દુકાનો આવેલી છે. આજે અચાનક ભંગારના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. ભંગારના ગોડાઉનમાં રહેલા પ્લાસ્ટિક લાકડા સહિતના સામાનમાં આગના પગલે ગણતરીની ક્ષણોમાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધૂ હતું. ભંગારના ગોડાઉનની આગે બાજુમાં રહેલું ટાયરની દુકાન અને ફોટો ફ્રેમ ની દુકાન ને ઝપેટમાં લઈ લીધી હતી. ઘટના અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા બે ફાયર સ્ટેશન કોસાડ અને મોટા વરાછા 3 જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ભંગારના ગોડાઉન અને ટાયરની દુકાનમાં આગના પગલે ધુમાડો પણ ઝેરી થઈ ગયો હતો. ત્રણ કિમી દૂરથી ધુમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા હતા. ફાયર ઓફિસર મારુતિ સોનવણેએ જણાવ્યું હતું કે, આજના જવાનોએ પહોંચીને પહેલા આગ ન પ્રસરે તેની કાર્યવાહી હાથ ધરી હતી અને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ભંગારના ગોડાઉનમાં લાગેલી આગ આસપાસની બે દુકાનોમાં પ્રસરી ગઈ હતી અને તેને આગળ પ્રસરતા અટકાવી હતી. ધુમાડો પણ ઝેરી હોવાથી માસ્ક લગાવીને ફાયર ફાઈટિંગ કરવાની ફરજ પડી હતી. પોણો કલાક જેટલો સમય આગ પર કાબૂ મેળવતા થયો હતો. આ આગના પગલે બે દુકાનમાં બનવામાં આવેલું ભંગારનું ગોડાઉન, ટાયરની દુકાન અને ફોટો ફ્રેમ ની દુકાન માં ભારે નુકસાન થયું છે. ભંગારનું ગોડાઉન અને ટાયર ની દુકાન સંપૂર્ણ ખાખ થઈ ગઈ છે. આ કાબુમાં આવ્યા બાદ તેને ખોલીને એક કલાક જેટલો સમય કુલિંગની કામગીરી કરી હતી. હાલ તો આ પતરાના શેડમાં લાગેલી આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો છે. જોકે પતરાના શેડ હોવાથી સવાલો ઊભા થયા છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 1:43 pm

સહકારી બેંકના કર્મચારીને પાઇપના 36 ફટકા માર્યા: VIDEO:પાન પાર્લરથી ખેંચી જમીન પર પછાડ્યો: લોકોની સામે જ બંને પગ પર આડેધડ મારતા રહ્યા

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ક્રાકચ ગામમાં મારામારીની ઘટના સામે આવી છે. પાનની દુકાન આગળ ઉભેલા સહકારી બેંકના કર્મચારી પર કારમાં આવેલા ત્રણ શખ્સો ધોકા-લાકડી અને પાઇપો લઇને તૂટી પડ્યાની સમગ્ર ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઇ છે. જેમાં જેવા મળે છે કે, કારમાં આવેલા શખ્સો સહકારી બેંકના કર્મચારીને ખેંચીને પાન પાર્લકમાંથી બહાર કાઢે છે એને એક બાદ એક પાઈપના 36 પ્રહાર કરીને હાથ-પગ તોડી નાખે છે. શખ્સોએ યુવકને ખેંચીને પાન-પાર્લરમાંથી બહાર કાઢ્યોમારામારીની ઘટનાના સામે આવેલા સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળે છે કે, ક્રાકચ ગામમાં એક પાન પાર્લરની દુકાન આગળ એક યુવક ઉભો છે. આ દરમિયાન એક સફેદ કલરની કાર આવે છે, જે થોડી આગળ જઇને થોડીવાર ઉભી રહે છે અને થોડી જ સેકન્ડોમાં કારચાલક કારને રિવિર્સ કરે છે. જેમાંથી પહેલાં બે લોકો ઉતરે છે અને પાન પાર્લર આગળ ઉભેલા યુવકને ખેંચીને રોડ પર લઇ લે છે. યુવક કઇ સમજે એ પહેલાં જ બંને શખ્સો ધોકા-લાકડી અને પાઇપ લઇને યુવક પર તૂટી પડે છે. બચવા યુવકે ધોકો પકડી લીધો તો આરોપીએ બીજો ધોકો લીધોસીસીટીવીમાં જોવા મળે છે કે, બંને શખ્સો યુવકને માર મારી રહ્યા છે ત્યારે કારની ડ્રાઇવર સીટમાં બેઠેલો શખ્સ દરવાજો ખોલીને બહાર આવે છે અને એ પણ ધોકા લઇને માર મારવા લાગે છે. આ દરમિયાન યુવક બચવા માટે એક શખ્સનો ધોકો હાથમાં પકડી લે છે. માથાભારે શખ્સ બીજો ધોકો લઇને ફરીથી આડેધડ મારવા લાગે છે. આ દરમયિના કેટલાક લોકો જોઇ રહે છે. જે બાદ વધુ લોકોનું ટોળુ ભેગુ થઇ જાય છે અને યુવકને છોડાવે છે. જે બાદ કારમાં આવેલા શખ્સો પોતાની કાર લઇને ફરાર થઇ જાય છે. મારામારીની ત્રણ કલાક પહેલા ફોનમાં ગાળો બોલી હતીઆ અંગે પીડિત યુવક ગૌતમભાઈ વાળાએ લીલીયા પોલીસ સ્ટેશનમાં દેવકુ ભગુભાઈ વાળા, નાગરાજ રણજીતભાઈ વાળા અને લઘુવીર ગીડા નામના ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, પોતે સહકારી બેંકમાં ફરજ બજાવે છે. 18 નવેમ્બરના રોજ પોતે નોકરી પર હતા આ દરમિયાન તેમને આ આરોપીઓનો ફોન આવ્યો હતો અને ફોનમાં તેમને કોઇ કારણ વગર જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા. જેના ત્રણ-ચાર કલાક બાદ ગૌતમભાઈ સહકારી બેંકની નજીક આવેલા એક પાન પાર્લર પર ગયા હતા. યુવકને જમણા પગની ઢાંકણી, નળામાં અને ડાબા હાથમાં ફેક્ચર થયું ગૌતમભાઈ વાળાએ ફરિયાદમાં લખાવ્યા મુજબ તેઓ પાન પાર્લર પર ઉભા હતા એ દરમિયાન આ ત્રણેય શખ્સો કાર લઇને આવ્યા હતા અને તેઓ કઇ સમજે એ પહેલાં ધોકા-લાકડી અને પાઇપો લઇને ઢોરમાર માર્યો હતો. લોકો ભેગા થઇ જતાં આ શખ્સો જાનથી મારી નાખવાની ધમકી આપી આપીને જતા રહ્યા હતા. આ મારામારીમાં ગૌતમભાઈ વાળાને જમણા પગની ઢાંકણી, નળામાં અને ડાબા હાથમાં ફેક્ચર થયું છે. જ્યારે શરીરના અન્ય ભાગમાં મુંઢમાર વાગ્યો છે. પોલીસે સીસીટીના આધારે આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યાપોલીસે ફરિયાદના આધારે અને સામે આવેલા સીસીટીવી કબ્જે કરીને આ શખ્સોને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે. આરોપીઓએ કયા કારણોસર ફરિયાદીને ઢોરમાર માર્યો એ દિશામાં પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે. બાબરામાં બે જૂથ વચ્ચે અથડામણ, એકનું મોત, નવને ઈજા પંદરેક દિવસ અગાઉ અમરેલીના બાબરા તાલુકાના ફુલઝર ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. લગ્ન પ્રસંગમાં ઘોડીને ટ્રેક્ટર અડી જવાના કારણે બબાલ થઈ હતી. જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ જૂથ અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે 9 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો... આ પણ વાંચો: લગ્નના ફુલેકામાં મધરાતે 'વરઘોડો' નીકળ્યો, 50થી વધુના ટોળા સામે ફરિયાદ

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 1:36 pm

બીજી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ:કચ્છ-સૌરાષ્ટ્રમાં રોકાણનો નવો અધ્યાય શરૂ કરશે

કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના ત્વરિત ઔદ્યોગિક, આર્થિક અને સાંસ્કૃતિક ઉછાળાને રાષ્ટ્રીય-વિદેશી નિષ્ણાતો સામે રજૂ કરવા માટે દ્વિતીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ (VGRC)નું આયોજન થવા જઈ રહ્યું છે. આ કૉન્ફરન્સ પ્રદેશને રોકાણનું ઉદયમાન કેન્દ્ર બનાવવા અને ગુજરાતને ટકાઉ-સમાવિષ્ટ વિકાસ તરફ આગળ ધપાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. VGRC દરમિયાન સિરામિક્સ, એન્જિનિયરિંગ, બંદરો અને લૉજિસ્ટિક્સ, મત્સ્યોદ્યોગ, પેટ્રૉકેમિકલ્સ, કૃષિ-ફુડ પ્રોસેસિંગ, ગ્રીન એનર્જી, ખનિજ, સ્ટાર્ટઅપ્સ, MSME અને પ્રવાસન જેવા મુખ્ય ક્ષેત્રોમાં વિશાળ સંભાવનાઓને ઉજાગર કરવામાં આવશે. નીતિગત સહયોગ અને વ્યૂહાત્મક ભાગીદારી સાથે રોકાણકારોને આ પ્રદેશમાં વિકાસ માટે અનુકૂળ માહોલ ઉપલબ્ધ થવાનો છે. કચ્છ: ભારતનું વૈશ્વિક ગેટવેદેશનો સૌથી મોટો જિલ્લો કચ્છ, કંડલા અને મુન્દ્રા જેવા બે વિશાળ બંદરોની હાજરીથી વૈશ્વિક વેપારનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે. 32 GWથી વધુની નવીનીકરણીય ઊર્જા ક્ષમતા, મજબૂત લૉજિસ્ટિક નેટવર્ક, પશુપાલન અને એગ્રો પ્રોસેસિંગ જેવા ક્ષેત્રો કચ્છને રોકાણકારો માટે ટોચની પસંદગી બનાવે છે. મોરબી: ભારતની સિરામિક રાજધાની900થી વધુ સિરામિક એકમો સાથે મોરબી વૈશ્વિક બજારમાં ટાઇલ્સ, વિટ્રિફાઇડ અને સેનિટરીવેર ઉત્પાદનમાં ભારતનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ ઝોન છે. જામનગર: પિત્તળના શહેરથી લઈને વિશ્વની રિફાઈનરી સુધી15 હજારથી વધુ પિત્તળ એકમો જામનગરને દેશ-વિદેશના બજારમાં આગવું સ્થાન અપાવે છે. સાથે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એશિયાની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઈનરી અહીં સ્થિત છે. કેરી, જામફળ અને દાડમનું ઉત્પાદન કૃષિ આધારિત ઉદ્યોગોને ગતિ આપે છે. રાજકોટ: મશીન ટૂલ્સ અને MSMEનું હબગુજરાતનું ત્રીજુ મોટું શહેર રાજકોટ, મશીન ટૂલ્સ મેન્યુફેક્ચરિંગનો દેશવ્યાપી કેન્દ્ર છે. અહીં MSME ક્ષેત્ર નવીનતા અને ઉદ્યોગસાહસિકતા સાથે વધી રહ્યું છે. સાથે સાથે રાજકોટની બાંધણી, અજરખ પ્રિન્ટ અને લોક સંગીત હસ્તકલા ક્ષેત્રને સમૃદ્ધ કરે છે. પોરબંદર-દેવભૂમિ દ્વારકા: ધાર્મિક-ઔદ્યોગિક વિકાસના દ્વારમહાત્મા ગાંધીનું જન્મસ્થળ પોરબંદર મત્સ્યોદ્યોગ, મીઠા-ખનિજ પ્રોસેસિંગ અને હસ્તકલા માટે જાણીતું છે. દેશનો સૌથી મોટો કાસ્ટિક સોડા પ્લાન્ટ અહીં છે. દેવભૂમિ દ્વારકામાં ટાટા કેમિકલ્સનો સોડા એશ પ્લાન્ટ અને ઓખા બંદર દ્વારા નિકાસને વેગ મળે છે. ભાવનગર-બોટાદ-સુરેન્દ્રનગર: વહેપારી અને ઔદ્યોગિક પ્રવાહનો ત્રિકોણ ભાવનગર: દેશનું સૌથી મોટું શિપબ્રેકિંગ યાર્ડ ‘અલંગ’, સાથે જ ડુંગળી ઉત્પાદન માટે પણ જાણીતા. બોટાદ: નવું ઔદ્યોગિક અને સાંસ્કૃતિક કેન્દ્ર. સુરેન્દ્રનગર: કપાસ, વરિયાળી, મીઠું, ટાંગલિયા-બાંધણી માટે દેશભરમાં પ્રસિદ્ધ. જૂનાગઢ-ગીર સોમનાથ: કૃષિ અને ઇકો-ટુરિઝમની ધરતીગીર અભ્યારણ્ય, ગિરનાર પર્વત, બાગાયતી ઉત્પાદન, એગ્રો પ્રોસેસિંગ અને ઇકો ટુરિઝમ સાથે આ જિલ્લાઓ રોકાણ માટે નવા માપદંડ ઉભા કરે છે. અમરેલી: દેશનું પ્રથમ ખાનગી બંદર-પીપાવાવપોર્ટ આધારિત ઉદ્યોગો, ફિશરીઝ અને એગ્રો પ્રોસેસિંગ માટે અમરેલી ગુજરાતના વિકાસમાં અગત્યની ભૂમિકા ભજવે છે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ કચ્છ-સૌરાષ્ટ્રને રોકાણ, રોજગાર અને વિકાસની નવી લહેર તરફ આગળ ધપાવશે, એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 1:33 pm

સાવધાન રહો, સતર્ક બનો:વડોદરાના ખેડૂત દંપતીએ ફિશિંગ લિંક પર ક્લિક કરતાંની સાથે બેંકમાં રહેલા રૂપિયા ઉપાડી ગયા, 3 લાખથી વધુની ઠગાઈ

વડોદરા જિલ્લાના અણખોલ ગામના ખેડૂત જીતેન્દ્રભાઈ વલ્લભભાઈ પટેલ અને તેમની પત્ની સાથે ઓનલાઈન છેતરપિંડી અંગેની ફરિયાદ મંજુસર પોલીસ મથકમાં નોંધવામાં આવી છે. દંપતીએ ઈન્ડસઈન્ડ બેંકના નામે આવેલ એક ફિશિંગ લિંક પર ક્લિક કરતાંની સાથે જ તેમના બંને ખાતામાંથી કુલ રૂપિયા 3,01,500ની રકમ ઠગબાજો દ્વારા ઉપાડી લેવામાં આવતા આખરે આ મામલે ફરિયાદ નોંધાવી છે. આ અંગે જીતેન્દ્રભાઈએ નોંધાવેલ ફરિયદમાં જણાવ્યું છે કે, ગત 10 ફેબ્રુઆરી, 2025ના તેઓ અને તેમની પત્ની ઘરે તેમના મોબાઈલના વોટ્સએપ પર એક અજાણ્યા નંબરથી મેસેજ આવ્યો હતો. જેમાં ઈન્ડસઈન્ડ બેંકનું ડિસ્પ્લે પિક્ચર હતું. મેસેજમાં બેંક તરફથી મોકલવામાં આવી હોવાનું માનીને તેમણે તેમાં આવેલી લિંક પર ક્લિક કર્યું હતું. ક્લિક કરતાંની સાથે જ મોબાઈલ ઓટોમેટિક મોડમાં ગયો અને બેંકના OTPના મેસેજ આવવા લાગ્યા હતા. થોડી જ મિનિટોમાં તેમની પત્ની તરલીકાબેન જીતેન્દ્રભાઈ પટેલના ખાતામાંથી એક બાદ એક એમ ત્રણ ટ્રાન્ઝેક્શન થકી રૂપિયા 2,87,000 અને જીતેન્દ્રભાઈના ખાતામાંથી 14,500 મળી કુલ 3,01,500ની રકમ ડેબિટ થઈ ગઈ હતી. આ બાદ ઠગાઈની ખબર પડતાંની સાથે જ તેમણે તાત્કાલિક મોબાઈલ ફેક્ટરી રિસેટ કરી નાખ્યો હતો અને આ અંગે સાયબર હેલ્પલાઇન નંબર પર કોલ કરી જાણ કરતા આ નાગે પાદરા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 1:26 pm

ડિજિટલ એરેસ્ટ બાદ રાજ્યમાં પહેલી આત્મહત્યા:દિલ્હી ATSના નામે ફોન કરી ખાતામાં 40 કરોડનું ફ્રોડ’ થયું છે કહીને ડિજિટલ એરેસ્ટ કર્યા; કાયાવરોહણના ગભરાયેલા ખેડૂતે આપઘાત કર્યો

વડોદરા જિલ્લાના કાયાવરોહણમાં ડિજિટલ એરેસ્ટમાં ફસાયેલા ખેડૂતે આપઘાત કરી લીધાની રાજ્યની પહેલી ઘટના સામે આવી છે. કાયાવરોહણના કાકા રામના ફળિયામાં રહેતા અને ખેતીકામ કરતા 65 વર્ષીય અતુલભાઈ હિરાભાઈ પટેલને ભેજાબાજોએ દિલ્હી ATSના નામે ફોન કરી તેમના બેંક એકાઉન્ટમાં રૂ. 40 કરોડના ફ્રોડ અંગે તપાસ ચાલી રહી હોવાનું કહી ધમકાવ્યા હતા. ત્યારબાદ તેમને એક દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખ્યા હતા. શંકા જતા ફોનમાં આવેલા નંબર પર પરિવારજનોએ સંપર્ક કર્યોસતત દબાણ અને ભયના કારણે અતુલભાઈએ સોમવારે(17 નવેમ્બર) વહેલી સવારે 5 વાગ્યે ઘરે જ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. પરિવારજનોને આ ઘટનાની પાછળ કોઈ મોટી છેતરપિંડી થઈ હોવાની શંકા થતાં તેમણે અતુલભાઈના ફોનમાં આવેલા નંબર પર સંપર્ક કર્યો હતો. ભેજાબાજે આઈકાર્ડ મોકલી પોતે એન્ટી ટેરેરિસ્ટ સ્કવોડ(ATS)નો ઇન્સ્પેક્ટર ગૌરવ ગ્રોવર હોવાનો દાવો કર્યો હતો. ખેડૂતના મોત બાદ કાયાવરોહણ ગામમાં શોકનો માહોલ છે. પરિવારજનોનું કહેવું છે કે, ATS અને 40 કરોડના ફ્રોડની ધમકીએ અતુલભાઈને ભયભીત કરી દીધા હતા. આ ઘટનાની જાણ થતાં ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે. કાકા ત્રણ દિવસથી બેચેન રહેતા હતા: ભત્રીજોમૃતકના ભત્રીજા અંશ પટેલે જણાવ્યું હતું કે, હું કાયાવરોહણ ગામમાં રહું છું. અમારા કાકા આજે અમારી વચ્ચે નથી રહ્યા, તેઓ ખેતી કરતા હતા. ત્રણ દિવસથી તેઓ બેચેન રહેતા હતા. કોઈને કશું કહેતા નહોતા. અમારા લાખ પૂછવા છતાંય એમને કોઈને કશું કીધું નહોતું. એમના મિત્રોએ પણ બહુ પૂછ્યું, એમને કશું ના કીધું. પછી સોમવારે સવારે 5 વાગ્યે એમને દવા પી લીધી હતી. જેથી અમે તેમને દવાખાને લઈ ગયા હતા. મંગળવારે સવારે તેમનું મોત થયું હતું. સાયબર ક્રાઇમનો ફ્રોડ બહુ જ વધી ગયો છે. મારા કાકાએ જે પ્રકારે આત્મહત્યા કરી છે તે પ્રકારે કોઈ આત્મહત્યા ન કરે, તેવી લોકોને હું અપીલ કરું છું. ઘરની બહાર નીકળતા નહીં કહીને ધમકાવતા હતાતેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સાયબર ઠગો દર 5 મિનિટે કોલ કરતા, ઘરની બહાર નીકળતા નહીં કહીને ધમકાવતા હતા. અતુલકાકા રવિવારે ખેતરમાં કામ કરવા ગયા હતા. તે સવારે 10 વાગ્યે અચાનક ઘરે આવી ગયા હતા અને બેંક પાસબુક સહિત લઈને ઘરના ઉપરના પહેલાં માળે જતા રહ્યા હતા. મેં નીચેથી સાંભળ્યું હતું. તે વાત કરતા હતા કે, ખાતામાં 40 કરોડનો ફ્રોડ થયો છે, કાર્યવાહી કરાશે. 5-5 મિનિટે વોટ્સએપ-વીડિયો કોલ કરતા હતાજોકે પછી કાકાએ મને એકલાને બોલાવી કહ્યું હતું કે, ‘દિલ્હી પોલીસના ફોન આવ્યા કરે છે’. તે ખૂબ ગભરાઈ ગયા હતા. કાકાને એક આખો દિવસ ડિજિટલ એરેસ્ટ રખાયા હતા. સામેથી 5-5 મિનિટે વોટ્સએપ કોલ તથા વીડિયો કોલ કરવામાં આવતો હતો. પોલીસ આવા લોકો સામે કડકથી કડક એક્શન લેતેઓએ ઉમેર્યું હતું કે, અમે પોલીસ સ્ટેશન જવાના છીએ અને FIR કરવાના છીએ. એના બદલે અમારી એવી માગ છે કે પોલીસ આવા લોકો સામે કડકથી કડક એક્શન લે, એટલી જ અમારી માંગણી છે. મારા કાકાના મોબાઇલમાં આવેલા વીડિયો કોલ્સ મળ્યા છે અને એના વોટ્સએપ પર એવો ચિન્હ છે કે બે ઝંડા છે અને વચ્ચે 3C વાળો ચિન્હ છે. બસ એનાથી વિશેષ અમને ચેટમાંથી કશું મળ્યું નથી. દિવસમાં 200 લોકો ડિજિટલ એરેસ્ટકેન્દ્ર સરકારે સંસદમાં આપેલી માહિતી મુજબ 2022થી ફેબ્રુઆરી 2025 સુધીમાં ડિજિટલ એરેસ્ટના 2.42 લાખ કેસ નોંધાયા છે, એટલે કે એક દિવસમાં 200 કેસ. ત્રણ વર્ષ દરમિયાન લોકોએ 2,575 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. આ ઉપરાંત છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં વિવિધ પ્રકારના સાઇબર ફ્રોડમાં લોકોએ 2,746 કરોડ રૂપિયા ગુમાવ્યા છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 1:19 pm

115 મકાનો-દુકાનો પર બૂલડોઝર ફેરવાયું:હાટકેશ્વર સબ ઝોનલ ઓફિસ પાસેની સોસાયટીમાં ડિમોલિશન; ટ્રાફિક સમસ્યા દુર કરવા રોડ પહોંળો કરાયો

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન વકરી રહી છે. હાટકેશ્વરબ્રિજ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે હાટકેશ્વર AMTS બસ સ્ટેન્ડ નજીક આવેલી રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાંથી પસાર થતાં ટી.પી રોડને ખોલવામાં આવ્યો છે. ટી.પી રોડ પર આવતા સોસાયટીના 100 જેટલા રહેણાંક મકાન અને પાંચ કોમર્શિયલ મકાન તોડવાની કામગીરી પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી છે. ટ્રાફિક વધતા રોડને ખોલવાની કામગીરીશહેરના ભાઈપુરા- હાટકેશ્વર વોર્ડ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાને લઈને ટીપી રોડ ખોલવાની કામગીરી કરવામાં આવી રહી છે. હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરીના કારણે રોડ બંધ કરવામાં આવ્યો છે, ત્યારે સીટીએમથી હાટકેશ્વર તરફ જતા ટ્રાફિક સતત વધી રહ્યો છે. એક જ વૈકલ્પિક માર્ક હોવાના કારણે ત્યાં ટ્રાફિક થાય છે. હાટકેશ્વર AMTS બસ સ્ટેન્ડ નજીક સબ ઝોનલ ઓફિસ પાસે ટી.પી. સ્કીમ નં.25 (ખોખરા-મહેમદાવાદ)માં રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાંથી પસાર થતા ટીપી રોડને ખોલવાની કામગીરી પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી છે. તંત્રએ ડિમોલિશન કરી રોડને પહોળો કર્યોટી.પી રોડમાં આવતા આશરે 100 જેટલા રહેણાંક તેમજ 5 જેટલા કોમર્શિયલ પ્રકારના બાંધકામોને એસ્ટેટ વિભાગના સ્ટાફ, ખોખરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, દબાણ વાન, ખાનગી મજૂરો, જે.સી.બી. બ્રેકર મશીન દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યા છે. રહેણાંક અને કોમર્શિયલ મિલકતો તોડીને 12 મીટર પહોળાઈનો ટી.પી. રોડ જાહેર જનતાની અવરજવર માટે ખુલ્લો કરવામાં આવ્યો છે. સ્થાનિકોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 8 મહિના અગાઉ નોટિસ આપવામાં આવી હતી અને વૈકલ્પિક મકાન માટે ડોક્યુમેન્ટ માંગવામાં આવ્યા હતાં. જોકે, તેઓ દ્વારા ડોક્યુમેન્ટ જમા કરાવવામાં ન આવતા હજી વૈકલ્પિક મકાનો આપવામાં આવ્યા નથી.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 1:19 pm

ગઢડાના વિરડીમાં ભૂકંપ માપક યંત્ર મુકાયું:બે માસથી ભેદી અવાજ-આંચકાથી ભયભીત ગ્રામજનોને અધિકારીઓએ જાગૃત કર્યા

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના વિરડી, કાપરડી અને ખોપાળા સહિતના વિસ્તારોમાં છેલ્લા બે મહિનાથી ભેદી અવાજો અને હળવા ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા હતા. આ ઘટનાઓને કારણે સ્થાનિકોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ગાંધીનગર અને બોટાદની નિષ્ણાત ટીમોએ તાત્કાલિક વિરડી ગામની મુલાકાત લીધી હતી. આ ટીમો દ્વારા વિરડી ગ્રામ પંચાયત કચેરી ખાતે ભૂકંપના આંચકા માપવા માટે સિસ્મોમીટર સ્થાપિત કરવામાં આવ્યું છે. ગાંધીનગર સિસ્મોગ્રાફી ટીમના અધિકારી ડો. દીપસિંહ અને તેમની ટીમે ગામજનો સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન, ગઢડા મામલતદાર સિદ્ધરાજસિંહ વાળા, ટીડીઓ વાળા અને વિરડી ગામના સરપંચ ભાવેશભાઈ ચૌહાણ સહિતના અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સિસ્મોગ્રાફીના નિષ્ણાતોએ લોકોને ભૂકંપ સમયે કેવી રીતે સાવચેતી રાખવી, સુરક્ષિત સ્થળે કેવી રીતે પહોંચવું અને આફત દરમિયાન સંયમ જાળવવો તે અંગે વ્યવહારુ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સરકારી તંત્રના આ ઝડપી પ્રતિભાવથી ગામમાં વિશ્વાસનું વાતાવરણ ઊભું થયું છે. આગામી દિવસો સુધી સિસ્મોમીટર દ્વારા પ્રાપ્ત થતી માહિતીના આધારે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવશે. આ માહિતી ગઢડા મામલતદાર સિદ્ધરાજસિંહ વાળા દ્વારા આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 12:59 pm

લેપટોપ મુદ્દે VC - શૈક્ષિક સંઘ વચ્ચે બઘડાટી:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા 21 અધ્યાપકોને લેપટોપ નહીં મળે અમે પરત આપી દેશું તેવી ચિમકી અપાઈ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવા નિમણૂક પામેલા 21 અધ્યાપકોને લેપટોપ મુદ્દે કુલપતિ અને શૈક્ષિક સંઘ વચ્ચે બઘડાટી બોલી હોવાનું સામે આવ્યુ છે. જેમાં શૈક્ષિક સંઘની કારોબારી સમિતિ દ્વારા મંગળવારે કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી. કુલપતિ ડૉ. ઉપર જોશીની ચેમ્બરમાં પહોંચેલા શૈક્ષિક સંઘના કારોબારી સદસ્યો દ્વારા થયેલી ઉગ્ર ગરમાગરમીમાં એક તબક્કે તો શૈક્ષિક સંઘના કારોબારી સભ્યોએ ચિમકી આપી દીધી હતી કે જો નવા અધ્યાપકોને લેપટોપ નહીં મળે તો અમે અમારા લેપટોપ પરત આપી દેશુ. આ સાથે જ નવા નિમણૂક પામેલા 12 આસિસ્ટન્ટ પ્રોફેસરને પીએચ.ડી.ની અગ્રેડશીપ તાત્કાલિક આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. 18 નવેમ્બરના શૈક્ષિક સંઘના અધ્યક્ષ ડૉ. શૈલેષ પરમાર અને ઉપાધ્યક્ષ ડૉ. રવિસિંહ ઝાલાની આગેવાનીમાં કારોબારી સભ્યો કુલપતિ ડૉ. ઉત્પલ જોશી સમક્ષ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. જેમાં નવા નિમણૂક પામેલા 12 આસિસ્ટન્ટ પ્રોફેસર, 6 એસોસિયેટ પ્રોફેસર અને 3 પ્રોફેસરને સરકારની ગ્રાન્ટમાંથી લેપટોપ આપવા માટેની માંગણી કરવામાં આવી હતી. જોકે તે સમયે કુલપતિ દ્વારા કહેવામાં આવ્યું હતુ કે, યુનિવર્સિટી ઉપર ભારણ વધી જાય તેમ છે. અધ્યાપકોના સંગઠન દ્વારા કહેવામાં આવ્યું હતું કે અત્યાર સુધી અધ્યાપકોને RUSA (રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન) ની ગ્રાન્ટમાંથી લેપટોપ આપવામાં આવતું હતું તો હવે નવા અધ્યાપોને પણ લેપટોપ આપવામાં આવે. જેથી કુલપતિ દ્વારા કહેવામાં આવ્યું કે, હવે PM USHA (પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન) માં કોને લેપટોપ આપવા માટેનું પ્રાવધાન છે કે કેમ ? તે તપસ્યા બાદ આ નિર્ણય લેવામાં આવશે. જેથી શૈક્ષિક સંઘના કારોબારી સભ્ય ડૉ. ઝાલા ઉગ્ર બની ગયા હતા અને નવા અધ્યાપકોને લેપટોપ આપવામાં નહીં આવે તો અમે અમારા લેપટોપ પરત આપી દેશું તેવી વાત કરવામાં આવી હતી. જોકે બાદમાં કુલપતિએ આ મામલે વિચારણા બાદ નિર્ણય લેવાની વાત કરી હતી. આ બાબતે કુલપતિ ડૉ. ઉત્પલ જોશીને પૂછવામાં આવતા તેમને જણાવ્યું હતું કે, શૈક્ષિક સંઘના આગેવાનો પોતાની કેટલીક રજૂઆતોને લઈને અહીં આવ્યા હતા. જેમાં નવા અધ્યાપકોને લેપટોપ આપવા માટેની માંગણી કરવામાં આવી હતી. જોકે અન્ય કોઈ યુનિવર્સિટીમાં અધ્યાપકોને લેપટોપ આપવામાં આવતા ન હોવાનું ધ્યાને આવ્યું છે. અગાઉ RUSA ની ગ્રાન્ટ માંથી અધ્યાપકોને લેપટોપ આપવામાં આવ્યા હતા જો કે હવે આ પ્રકારનું કોઈ પ્રાવધાન છે કે કેમ તે તપાસ્યા બાદ નિર્ણય લેવાશે. આ ઉપરાંત નવી નિમણૂક પામેલા 12 આસિસ્ટન્ટ પ્રોફેસરને Ph.D. ની ગાઇડશીપ આપવાની માગણી હતી. તે બાબતે યુનિવર્સિટી હકારાત્મક છે જેથી તેમાં પોઝિટિવ નિર્ણય લેવાશે. જ્યારે શૈક્ષિક સંઘના ઉપાધ્યક્ષ ડૉ. રવિસિંહ ઝાલાનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, નવા નિમણૂક પામેલા 21 અધ્યાપકોને લેપટોપ આપવા માટે કુલપતિ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેમાં કુલપતિનું કહેવું હતું કે યુનિવર્સિટી ઉપર ભારણ વધી જાય તેમ છે. જોકે આ અધ્યાપકો માટે જ છે. જેથી લેપટોપ આપવું જોઈએ. આ ઉપરાંત નવા નિમણૂક પામેલા 12 આસિસ્ટન્ટ પ્રોફેસરને એક વર્ષનો પ્રોબેશન પિરિયડ પૂર્ણ થયા બાદ પીએચ.ડી. ગાઇડશીપ માટે અરજી કરવામાં આવેલી છે પરંતુ તેને પણ એક વર્ષ વીતી ગયુ હોવા છતા પ્રક્રિયા પણ શરૂ થઈ નથી જેથી તેઓને ગાઈડશીપ આપવામાં આવે તો તમામ ભવનોમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ પીએચ.ડી. કરી શકે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 12:53 pm

વલસાડમાં ઠંડીની જમાવટ:લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી નોંધાયું, લોકોએ ગરમ વસ્ત્રો કાઢ્યા

વલસાડ જિલ્લામાં ગુરુવારની વહેલી સવારથી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. રાજ્ય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જિલ્લાનું લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે મહત્તમ તાપમાન 29 ડિગ્રી આસપાસ રહેવાનો અંદાજ છે. આ સાથે જ સમગ્ર જિલ્લામાં શીતળતા પ્રસરી ગઈ છે. ઠંડીની સત્તાવાર શરૂઆત થતાં વાતાવરણમાં સુખદ પલટો આવ્યો છે. વહેલી સવારે લોકો સ્વેટર, જેકેટ અને મફલર જેવા ગરમ વસ્ત્રો પહેરીને ઘરની બહાર નીકળતા જોવા મળ્યા હતા. વલસાડના પારનેરા ડુંગર સહિત ધરમપુર અને કપરાડાના ડુંગરાળ વિસ્તારોમાં ઠંડા પવનોનો અનુભવ થયો હતો, જેના કારણે શિયાળાનો અહેસાસ વધુ સ્પષ્ટ બન્યો છે. ઠંડા વાતાવરણને કારણે મોર્નિંગ વોક અને કસરત માટે નીકળતા લોકોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી છે. વધતી ઠંડીને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ રવિ પાક અને આંબાની ખાસ સંભાળ લેવાની કામગીરી શરૂ કરી દીધી છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નોંધાયેલું તાપમાન એકંદરે, જિલ્લામાં શિયાળાની ઋતુનું આગમન થઈ ચૂક્યું છે અને સવાર-સાંજ શીતળ પવનો સાથે સુખદ માહોલ છવાયો છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 12:35 pm

વલસાડમાં યુવકનું શંકાસ્પદ મોત:ગભરામણ થતાં હોસ્પિટલમાં ખસેડ્યો પણ સારવાર દરમિયાન મોત, ઝેરી દવા પીધી હોવાની પરિવારને શંકા

વલસાડ શહેરમાં ખડકીભાગડા કુંભારવાડ વિસ્તારમાં રહેતા યુવકના શંકાસ્પદ મોતનો બનાવ સામે આવ્યો છે. યુવકને ગભરામણ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે. સારવાર દરમિયાન મોત થયુંબુધવારે બપોરે 34 વર્ષીય હિરક જગદીશચંદ્ર મૈસુરીયાને અચાનક ગભરામણ થતાં પરિવારને માહિતી મળી હતી. તેમના પિતાએ કામ પર હોવાથી તરત જ સગાસંબંધીઓને સંપર્ક કર્યો હતો. બાદમાં કુટુંબજનો હિરકને તાત્કાલિક 108 મારફતે યુવકને કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ઈમરજન્સી વોર્ડમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે આઈસીયુમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં મોડી સાંજે યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઝેરી દવા પીધી હોવાની પરિવારને શંકાપરિવારજનોએ શંકા વ્યક્ત કરી છે કે, હિરક સરકારી નોકરીની પરીક્ષાઓ આપ્યા બાદ પરિણામ અને નીમણૂંકપત્રમાં થતી મોડાશને કારણે ડિપ્રેશનમાં આવી ગયો હતો. આ માનસિક દબાણ વચ્ચે હિરકે ઝેરી દવા પી લીધી હોવાની શંકા પરિવારના સભ્યોએ વ્યક્ત કરી છે.યુવકના મોત અંગે વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મરણની નોંધ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 12:23 pm

બ્લેકના વ્હાઈટ કરવામાં 50 લાખ ગુમાવ્યાં:પિતાએ જમીન વેચીને ધંધા માટે પૈસા આપ્યાં; પુત્રએ 75 લાખની લાલચમાં ઠગ ટોળકી પધરાવી દીધા

‘લોભીયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે’ તેવી ઘટના નારણપુરા ખાતે રહેતા એક યુવક સાથે બની છે. યુવકના પિતાની વિવાદીત જમીનના 50 લાખ રૂપિયા આવ્યા હતા, જેને ઠગ ટોળકીઓએ લઈ લીધા છે. ઠગ ટોળકીએ યુવકને 50 લાખ રૂપિયા આપશો તો વ્હાઈટના 75 લાખ રૂપિયા મળશે તેમ કહીને 50 લાખ લઈ પરત ન આપીને છેતરપિંડી કરી છે. નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પિતાને જમીનના પૈસા પુત્રને ધંધા માટે આપ્યાં હતાંનારણપુરા વિસ્તારમાં આવેલા આકાશ-3માં રહેતા હર્ષ શેઠે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં સંદીપ ઉર્પે રાસીદ અને રૂપેશ શાહ (રહે, માસ્ટર કોલોની, શાહપુર) વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ કરી છે. હર્ષ સંયુક્ત પરિવારમાં રહે છે અને શાહીબાગ ખાતે આવેલા બીઝનેશ પાર્કમાં પદ્માવતી હાર્ડવેર માર્ટ નામની દુખાન ધરાવી વેપાર કરે છે. 30 વર્ષ પહેલા હર્ષના પિતા દર્શનભાઈએ તમિલનાડુના કોઈમ્બતુર ખાતે આવેલા થોટારીયન કોલ સ્ટ્રીટ ખાતે ટેક્ષટાઈલનો બિઝનેશ કરતા હતા. જેતે સમયે દર્શનભાઈએ પરિવાર સાથે મલીને કઈમ્બતુર ખાતે જમીન ખરીદી હતી. આ જમીન પર કેસ થતાની સાથે વિવાદ સર્જાયો હતો, જે કેસ હજુ પણ કોર્ટમાં ચાલી રહ્યો છે. વિવાદના કારણે આ જમીન દર્શનભાઈ વેચી શક્યા નહીં. અંદાજીત ત્રણ મહિના પહેલા વિવાદનો અંત આવ્યો હતો અને જમીન વેચાતા 50 લાખનો પ્રોફિટ દર્શનભાઈને મળ્યો હતો. દર્શનભાઈને પેરાલિસિસ થયો હોવાથી તે રૂપિયા હર્ષને ધંધો કરવા માટે આપ્યા હતા. મિત્રએ રૂપિયા વ્હાઈટ કરી આપવાની સાથે વધુ પૈસા આપવા કહ્યુંહર્ષની શોપમાં ચિરાગ મોદી નોકરી કરે છે, જેના મિત્ર રૂપેશ અવારનવાર હર્ષને મળવા માટે આવતા હતા. હર્ષ અને રુપેશ વચ્ચે મિત્રતા થઈ હતી, જેથી તે દરરોજ શોપ પર આવવા લાગ્યા હતા. રુપેશ બિલ્ડરની ઓફિસમાં એકાઉટીંગનું કામ કરતો હતો. રૂપેશ પર વિશ્વાસ કરીને હર્ષે જણાવ્યુ હતું કે, મારી પાસે રૂપિયા પડ્યા છે, જેની વ્હાઈટની એન્ટ્રી કરવી છે. હર્ષની વાત સાંભળીને રૂપેશે જવાબ આપ્યો હતો કે, તે રોકડા રૂપિયા લઈને આરટીજીએસ મારફતે વ્હાઈટ કરી આપશે. જે વ્યકિત તમારા રૂપિયા વ્હાઈટ કરી આપશે તે વધારાના પાંચથી સાત ટકા આપશે. રૂપેશે હર્ષને કહેવા લાગ્યો હતો કે, જે કંપનીને રોકડમાં રૂપિયાની જરૂર હોવાથી તે લઈ લેતા હોય છે અને તેની સામે આરટીજીએસ મારફતે ટકાવારી વધારીને રૂપિયા આપતી હોય છે. મુંબઈની એક કંપનીમાં પૈસા વ્હાઈટ કરી આપવાનું જણાવ્યુંથોડા દિવસ પહેલા હર્ષના વ્હોટ્સએપ પર રૂપેશનો કોલ આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, એક વ્યકિત છે જે મુંબઈ ખાતે આવેલી ઈન્ડસ ટાવરની કંપનીમાં તમારા રૂપિયા વ્હાઈટ એન્ટ્રી કરી આપશે. રૂપેશની વાત કર્યા બાદ હર્ષે જણાવ્યુ હતું કે, હું તમને પૈસાની સગવડ કરીને જણાવીશ. ત્યારબાદ રૂપેશે કહેવા લાગ્યો હતો કંપનીને એક કરોડ રૂપિયા આપશો તો તમને કંપની દોઢ કરોડ રૂપિયા આરટીજીએસ કરી આપશે. રૂપેશની વાતોમાં આવીને હર્ષે કહ્યુ હતુ કે, મારી પાસે 50 લાખથી વધુની સગવડ થાય તેમ નથી. રૂપેશે હર્ષને જણાવ્યુ હતું કે, હું ફરીથી આગળ વાત કરીને તમને ફોન કર્યુ છે. 50 લાખના 75 લાખ કરી આપવાની લાલચ આપીથોડા સમય પછી રૂપેશનો ફોન આવ્યો હતો અને કહ્યુ હતું કે, 50 લાખ રૂપિયાની સામે 75 લાખ રૂપિયા આરટીજીએસ મારફતે કંપની ટ્રાન્સફર કરશે. જે વ્યકિત આકામ કરે છે તેમને 13 લાખ રૂપિયા કમિશન આપવુ પડશે, એટલે તમારા ભાગમાં 62 લાખ રૂપિયા આવશે. હર્ષ વિશ્વાસમાં આવી ગયો હતો અને તેણે રૂપેશને ડીલ કરવાની હા પાડી દીધી હતી. રૂપેશ હર્ષ પાસેથી આધારકાર્ડ, પાનકાર્ડ તેમજ બેંકની તમામ વિગતો માંગી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરીહર્ષ અને રૂપેશે સહિતના લોકો 50 લાખ રૂપિયા લઈને નવરગંપુરા ખાતે આવેલાઈસ્કોન આર્કેડમાં એસ.પી. એન્ટરપ્રાઈઝ નામની આંગડીયા પેઢીમાં પહોચ્યા હતા. રૂપેશે કંપનીના કર્મચારી સંદીપ ઉર્ફે રાસીદ સાથે વાત કરી હતી અને રૂપિયા આવી જાય એટેલે 75 લાખ રૂપિયા આરટીજીએસ થઈ જશે તેવુ કહ્યુ હતું. હર્ષે આંગડીયા પેઢીમાં રૂપિયા આપ્યા બાદ આરટીજીએસ નહીં થતા તેમની સાથે ચિંટિગ થયુ હોવાનું આવ્યુ હતું. હર્ષે રૂપિયા પરત લેવા જતા આંગડીયા પેઢીના કર્મચારીએ રૂપિયા સંદીપ પાસે પહોંચી ગયા હોવાનો કહ્યુ હતું. ગુનાહિત કાવતરૂ ઘડીને સંદીપ સહિતના લોકોએ છેતરપિંડી આચરી હતી, જેને લઈને હર્ષે પોલીસે ફરિયાદ કરી છે. હર્ષની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 12:22 pm

144 દિવસથી તાપી પરનો કોઝવે ટૂંક સમયમાં ખુલશે:સપાટી ભયજનકથી નીચે, વાહનવ્યવહાર ચાલુ થતા રાંદેર અને કતારગામના લોકોને રાહત થશે

આ વર્ષે ઉપરવાસમાં સતત વરસાદના પગલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાના લઈને સુરતનો એકમાત્ર કોઝવે છેલ્લા 144 દિવસથી વાહન વ્યવહાર માટે બંધ છે. હાલ કોઝવે ખાતે તાપી નદીને સપાટી ભયજનક 6 મીટરથી નીચે જતા ટૂંક સમયમાં જ કોઝવેને વાહન વ્યવહાર માટે ખોલવામાં આવે તેવી શક્યતા છે. જેથી રાંદેર અને કતારગામના લોકોને એક થી દોઢ કિલોમીટરનો ફેરાવો લેવામાંથી રાહત મળશે. 20 નવેમ્બરે ઉકાઈ ડેમની સપાટી 344.57 ફૂટદક્ષિણ ગુજરાતની જીવનદોરી ગણાતો ઉકાઈ ડેમ આ વર્ષે પણ છલોછલ ભરાઇ ગયો છે. 1 નવેમ્બર 2025થી ડેમની સપાટી 345 ફૂટ નોંધાઈ છે, જે ભયજનક 345 ફૂટની સપાટી છે. હાલ પણ ઉકાઈ ડેમની અંદર 6000 ક્યુસેકથી વધુ પાણી આવી રહ્યું છે અને તેટલું જ પાણી છોડી દેવામાં આવી રહ્યું છે. 20 નવેમ્બર 2025 આજની ઉકાઈ ડેમની સપાટી 344.57 ફૂટ છે. ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડાવવાના પગલે તાપી નદી પર આવેલા કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે. છેલ્લા ચાર મહિનાથી કોઝવે વાહનવ્યવહાર માટે બંધતાપી નદીની સપાટીમાં વધારો થતા સુરતમાં કતારગામ અને રાંદેરને જોડતો કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ જાય છે. 23 જુન ના રોજ તાપી નદીના કોઝવે ખાતેની સપાટી 6 મીટર કે જે ભયજનક છે તેનાથી વધુ થતાં કોઝવેને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સતત એક મહિનો બંધ રહ્યા બાદ કોઝવેને સાત દિવસ માટે ખોલવામાં આવ્યો હતો. જોકે ફરી ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું શરૂઆત કરવામાં આવતા તાપી નદીની સપાટીમાં વધારો થતાં ફરી કોઝવેને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. જેથી સતત છેલ્લા ચાર મહિનાથી કોઝવે વાહન વ્યવહાર માટે બંધ છે. કોઝવે ખાતે પાણીની સપાટી 6 મીટરથી નીચે જતા ટૂંક સમયમાં વાહનો માટે ખોલી દેવાશેઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું ઓછું કરવામાં આવતા હાલ કોઝવે ખાતે પાણીની સપાટી ભયજનક 6 મીટરની સપાટીથી નીચે આવી ગઈ છે. હાલ કોઝવે ખાતે 5.56 મીટર પર પહોંચી ગઈ છે. જેના પગલે ઉપરથી પસાર થતું પાણી બંધ થઈ ગયું છે. જેથી તંત્ર દ્વારા હાલ કોઝવેની બંને તરફ સમારકામ કરવામાં આવી રહ્યું છે અને લોખંડની પાઇપ લગાવવામાં આવી રહી છે. ટૂંક સમયમાં કોઝવે ને વાહન વ્યવહાર માટે ખોલી દેવામાં આવશે. જેથી કતારગામ અને રાંદેરના લોકોને એકથી દોઢ કિલોમીટરનો ફેરાવામાંથી રાહત મળશે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 12:15 pm

વલસાડ હાઇવે પરથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું:વિદેશી દારૂ સહિત ₹39.22 લાખનો મુદ્દામાલ જપ્ત, એકની ધરપકડ; બે વોન્ટેડ

વલસાડ જિલ્લામાં નંદાવલા ગામ નજીક નેશનલ હાઈવે નં.48 પર પોલીસે કાર્યવાહી કરીને વિદેશી દારૂ ભરેલું એક કન્ટેનર ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહીમાં કુલ ₹39.22 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. આ ઘટના 19 નવેમ્બર, 2025ના રોજ સાંજે લગભગ 8:30 થી 9 વાગ્યાની આસપાસ બની હતી. હેરે કૃષ્ણા હોટલ નજીક નાકાબંધી દરમિયાન પોલીસને એક કન્ટેનર (HR-62-A-6298) શંકાસ્પદ હાલતમાં દેખાતા તેને અટકાવવામાં આવ્યું હતું. વલસાડ રૂરલ પોલીસે કન્ટેનરની તપાસ કરતા તેમાંથી ₹17.98 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દેવ કાર્ગો મુવર્સના બંધ કન્ટેનરમાં ખાલી બોટલો ભરેલા કુલ 1,354 બોક્સની આડમાં વિદેશી દારૂના 126 બોક્સ છુપાવવામાં આવ્યા હતા, જેમાં કુલ 4,032 બોટલો હતી. કન્ટેનર ચાલક નાસિર મજીદ ઇસબ દેઠવાલ (ઉંમર 27, રહે. ગોહાવા, નગીણા, હરિયાણા)ને સ્થળ પરથી જ ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી મોબાઇલ ફોન અને ફાસ્ટેગ કાર્ડ પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં ક્લીનર શૌકત, જે ઘટના દરમિયાન કન્ટેનર લઈને નાસી ગયો હતો, તેમજ હરિયાણાના ગુડગાંવનો દારૂ સપ્લાયર રામ, એમ બે શખ્સો વોન્ટેડ છે. તેમના સંપૂર્ણ નામ-સરનામાની માહિતી ઉપલબ્ધ નથી. વલસાડ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંકુશમાં લાવવા વલસાડ SP યવરાજસિંહ જાડેજાની સૂચનાના આધારે વલસાડ રૂરલ PI એસ.એન. ગડ્ડુના નેતૃત્વમાં પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી, તે દરમિયાન આ સફળતા મળી હતી. આ સમગ્ર કાર્યવાહી પ્રોહિબિશન એક્ટ કલમ 65(A)(E), 81, 98(2) અને 116(ખ) હેઠળ કરવામાં આવી છે. વલસાડ પોલીસ વોન્ટેડ આરોપીઓની શોધખોળ માટે વધુ તપાસ હાથ ધરી રહી છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 12:03 pm

સ્કૂલમાં મોડા આવનાર વિદ્યાર્થીઓને બહાર બેસાડી રાખવાનો મામલો:વાલીઓની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત, કહ્યું- 'જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરો'

આણંદ જિલ્લાના ખંભાત ગામમાં પાંચ હાટડી વિસ્તારમાં રહેતાં અનવરહુસેન હુસેનમીયા મલેકની પુત્રી અને ભત્રીજો ગામમાં જ આવેલ એસ.બી વકીલ ઇંગ્લીશ મીડીયમ હાઇસ્કુલમાં અભ્યાસ કરે છે. અનવરહુસેન ગતરોજ સવારે સાડા સાત વાગ્યાના અરસામાં પોતાની પુત્રી અને ભત્રીજાને સ્કૂલે મુકવા ગયાં હતાં. તે વખતે શાળામાં પ્રાર્થના ચાલુ થઈ ગઈ હતી. જેથી સ્કૂલના સંચાલકોએ અનવરહુસેનની પુત્રી અને ભત્રીજાને વર્ગખંડમાં પ્રવેશવા દીધા ન હતા અને મોડા આવનાર અન્ય વિદ્યાર્થીઓ સાથે આ બંનેને પણ કડકડતી ઠંડીમાં બહાર ખુલ્લામાં બેસાડી રાખ્યા હતાં. પોતાના બાળકોને બહાર ખુલ્લામાં બેસાડી રાખ્યા હોવા અંગેની જાણ અનવરહુસેનને થતા તેઓ સ્કૂલે ગયા હતા અને પ્રિન્સિપાલ તેમજ સ્કૂલના સંચાલકોને આવું ન કરવા જણાવ્યું હતું. દરમિયાન સ્કૂલના પ્રિન્સિપાલ એકાએક ઉશ્કેરાઈ જઈ ગમેતેમ બોલવા લાગ્યાં હતાં. જેથી અનવરહુસેનએ પોતાનો મોબાઈલ કાઢી વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. ત્યારે પ્રિન્સિપાલે અનવરહુસેનનો મોબાઈલ છીનવી લીધો હતો અને હવે તારી છોકરી-ભત્રીજાનું શું થાય છે તે જોઈ લેજે તેવી ધમકીઓ આપી હતી. આ અંગે અનવરહુસેન અને તેમના પરિવારજનો આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે અને પ્રિન્સિપાલ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉચ્ચારી છે. પ્રિન્સિપાલે અભદ્ર વર્તન કરી મારો મોબાઇલ લઈ લીધો:વાલીઆ અંગે અનવરહુસેન જણાવે છે કે, મારી પુત્રી અને ભત્રીજો આજે સ્કૂલમાં થોડા મોડા પહોંચ્યાં, તો પ્રિન્સિપાલ મંજરીબેન નિખિલ ગોરડીયાએ તેઓને 17 ડિગ્રી ઠંડીમાં આખો દિવસ ક્લાસની બહાર ખુલ્લી જગ્યામાં બેસાડી રાખ્યાં. આ બાબતે હું મેડમને રજૂઆત કરવા ગયો હતો તેઓએ મારી સાથે અભદ્ર વર્તન કર્યું અને મારો મોબાઇલ પણ લઈ લીધો. શોકોઝ નોટીસ આપવામાં આવી છે:જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઆ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડૉ.અર્ચનાબેન પ્રજાપતિ જણાવે છે કે, આ અંગેની રજૂઆત સંદર્ભે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તે શાળાની મુલાકાત લીધી છે. આ બાબતે શોકોઝ નોટીસ આપી દેવામાં આવી છે અને જવાબદાર સામે પગલાં પણ લેવામાં આવશે. ઠંડીમાં બાળકોને આવી રીતે બહાર બેસાડી રાખવા તે યોગ્ય નથી.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 11:59 am

રાજ્યમાં 6 નવી DEO કચેરીને મંજૂરી:સુરત, રાજકોટ, ગાંધીનગર, વડોદરામાં ગ્રામ્ય DEO મળશે, અમદાવાદ શહેર, અંજાર-ભૂજમાં કચેરીનું વિભાજન

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓના વિભાજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર, સુરત, રાજકોટ, ગાંધીનગર, વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓના વિભાજનને મંજૂરી આપી છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વિભાજિત કરવામાં આવી છે. તેમજ રાજકોટ, વડોદરા, ગાંધીનગર અને સુરતને શહેર અને ગ્રામ્ય એમ બે ભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે. તેમજ કચ્છ જિલ્લાને બે ભાગમાં વિભાજન કરીને અંજાર પૂર્વ અને કચ્છ - ભુજમાં પશ્ચિમ DEO કચેરીને મંજૂરી આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 11:50 am

અંજારમાં અસામાજિક તત્વો સામે પોલીસની કાર્યવાહી:વીજ ચોરી, હથિયારધારા, NDPS કેસમાં કડક પગલાં લેવાયા

અંજાર પોલીસે છેલ્લા 30 વર્ષથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આવા ઈસમોની યાદી તૈયાર કરીને તેમના ડોઝિયર્સ ભર્યા છે અને તેમની વર્તમાન પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી છે. આ કાર્યવાહી અંતર્ગત, અંજાર પોલીસ વિભાગે હથિયારધારા, એન.ડી.પી.એસ. એક્ટ, બનાવટી ચલણી નોટો અને પેટ્રોલિયમ ધારા સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા ઈસમોના રહેણાંક અને આશ્રય સ્થાનોની તપાસ કરી હતી. તેમની નોકરી, ધંધો અને અન્ય પ્રવૃત્તિઓની પણ ચકાસણી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન, વિજય કરશન ગઢવી (રહે. વિજયનગર, અંજાર) ના કબજા ભોગવટાના મકાનમાં ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવ્યું હતું. પી.જી.વી.સી.એલ. ટીમ સાથે રાખીને આ વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું અને રૂપિયા 20,10,000ની કાર્યવાહી કરવામાં આવી હતી. તેવી જ રીતે, રામ કરશન ગઢવી (રહે. વિજયનગર, અંજાર) ના મકાનમાં પણ ગેરકાયદેસર વીજ જોડાણ પકડાયું હતું. પી.જી.વી.સી.એલ. ટીમની મદદથી વીજ કનેક્શન કાપીને રૂપિયા 10,000ની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત, હથિયારધારાના 10 કેસ અને એન.ડી.પી.એસ. એક્ટના 10 ગુના સહિત બનાવટી ચલણી નોટો અને પેટ્રોલિયમ ધારાના ગુનાઓમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને રૂબરૂ ચેક કરીને તેમની વર્તમાન પ્રવૃત્તિઓ અંગે તપાસ કરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. ગોહિલ અને અંજાર પોલીસ કર્મચારીઓ દ્વારા પાર પાડવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 11:48 am

માથાકૂટમાં પથ્થરમારાથી યુવકનું મોત:ભાવનગરમાં બે શખ્સોના ઝઘડામાં નિર્દોષ વસીમભાઈને ઈજા થતાં મૃત્યુ

ત્રણ દિવસ પહેલા શહેરના વડવા નેરા પાસે બે શખ્સો વચ્ચે થયેલી માથાકૂટ દરમિયાન પથ્થરમારામાં નિર્દોષ યુવક વસીમભાઈ ઝાકાને માથાના ભાગે ગંભીર ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગત મોડીરાત્રે સારવાર દરમિયાન તેનું મોત નિપજતા ગુન્હો હત્યામાં પરિણમ્યો હતો, આ બનાવ અંગે નીલમબાગ પોલીસે મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ફરિયાદી ફેઝલ રઝાકભાઈ ઝાકા ઉ.વ.25, રહે.વડવા નેરા, ભાવનગર વાળાએ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.16 નવેમ્બરની રાત્રે લગભગ 10:30 વાગ્યે તેમના ભાઈ વસીમ વડવા નેરાથી વિજય ટોકીઝ તરફ ચાલીને જઈ રહ્યા હતા. બાવાગોર ચોક અને વડવા નેરા વચ્ચે અદનાન ઉર્ફે બાદશાહ અસ્લમભાઈ મકવા અને અલબક્ષ ઉર્ફે અબો વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. આ ઝઘડા દરમિયાન અદનાન ઉર્ફે બાદશાહે શેરીમાં પડેલો એક મોટો પથ્થર ઉઠાવીને ફેંક્યો હતો. આ પથ્થર સીધો વસીમના માથામાં વાગ્યો હતો, જેના કારણે તેઓ બેભાન થઈને પડી ગયા હતા અને તેમના માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. આસપાસના લોકો ભેગા થતાં શહેઝાદ ઝાંકા અને નદીમ ઝાકા તેમને મોટરસાયકલ પર સરકારી દવાખાને સારવાર માટે લઈ ગયા હતા. સરકારી દવાખાનામાં વસીમની ટ્રોમા સેન્ટરમાં પ્રાથમિક સારવાર કરાયા બાદ તેમને જૂના બિલ્ડીંગના બીજા માળે આવેલા ICU વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. માથામાં ગંભીર ઈજા હોવાથી વધુ સારવાર માટે તેમને મેરૂ નર્સિંગ હોમ હોસ્પિટલમાં બે દિવસ રાખવામાં આવ્યા. ત્યારબાદ 18 નવેમ્બર 2025ના રોજ સાંજે તેમને બજરંગદાસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 19 નવેમ્બર 2025ના રોજ રાત્રે લગભગ 10 વાગ્યે ફરજ પરના ડોકટરે વસીમને મૃત જાહેર કર્યા હતા. ફરિયાદી ફેઝલભાઈએ જણાવ્યું કે, શરૂઆતમાં ઈજાના કારણે ફરિયાદ નોંધાવવામાં આવી ન હતી, પરંતુ ભાઈના અવસાન બાદ આજે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 11:47 am

વિદેશ મોકલવાના નામે છેતરપિંડી:વડોદરાના વિઝા કન્સલ્ટન્ટે વલસાડની યુવતીને સિંગાપોરના વર્ક પરમિટ વિઝા બનાવી આપવાનું કહી 8.25 લાખ પડાવ્યા

વલસાડની યુવતીને સિંગાપોરના વર્ક પરમિટ વિઝા બનાવી આપવાનું કહીને વડોદરામાં ઓફિસ ધરાવતા એજન્ટ રૂ. 9.80 લાખ પડાવી લીધા હતા. પરંતુ કોઇ વિઝા બનાવી નહી આપતા તેની પાસે રૂપિયાની માગણી કરતા માત્ર રૂ.1.55 લાખ પરત આપ્યા હતા. જ્યારે બાકીના રૂ. 8.25 લાખ આજ દિન સુધી પરત નહી આપતા તેના વિરુદ્ધ ઠગાઇની ફરિયાદ નોધાવવામાં આવી છે. વર્ક પરમિટ વિઝા માટે પૈસા લીધા પણ બનાવી ન આપ્યાવલસાડના જેસપોર ગામે રહેતા જીનલબેન ગણપતભાઈ પટેલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, વર્ષ 2024મા મારે સિંગાપોર ખાતે નોકરી અર્થે જવું હોય તેની વાત મે મારા બોસ હસમુખ જીવરાજભાઈ વોરાને કરી હતી. ત્યારે તેઓને જાણવા મળ્યું હતુ કે, વડોદરાના માંજલપુર ખાતે ઓફિસ ધરાવતો મિલીન પટેલ વિદેશ જવાના વિઝાનુ કામ કરે છે. જેની જાણ મારા બોસ હસમુખભાઇએ મને કરી હતી. હું, મારા બોસ હસમુખભાઈ વોરા, ખુશ્બુબેન ગીરીશભાઈ પટેલ તથા તેમના પતિ હિતેશભાઈ નાઈક માંજલપુર વિસ્તારમાં આવેલા શ્લોક કોમ્પલેક્ષની શિવાય ઓવરસિસના માલિક મિલીનકુમાર ઇન્દ્રવદન પટેલ મળ્યાં હતા અને અમારે સિંગાપુરના વર્ક પરમીટ વિઝા કઢાવી આપવા બાબતે વાત કરી હતી, ત્યારે મારા અને ખુશ્બુબેનના વિઝાના એક જણના રૂ.5.50 લાખ લેખે રૂ.11 લાખ થશે તેમ કહ્યું હતું. જેમાં હિતેશભાઈ રણજીતભાઈ નાઇક વિઝા ફ્રીમાં થઈ જશે અને તેમને રૂ.50 હજાર જ આપવા પડશે અને પૈસા આપ્યા બાદ તમારું કામ એક અઠવાડીયામાં પુરૂ કરી આપવાનો વાયદો કર્યો હતો. જેથી અમે તેની વાતમાં આવી ગયા હતા અને રૂ. 1.95 લાખ મિલીન પટેલને ઓનલાઇન મોકલ્યાં હતા. માંજલપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરીત્યારબાદ મિલીન પટેલે સિંગાપોરના વર્ક પરમીટ વિઝાનું કામ એક અઠવાડીયામાં કરી આપીશ તેમ જણાવ્યું હોવા છતા કામ કરી આપ્યું ન હતું. જેથી આ બાબતે વાત કરતા મિલીન પટેલ તમારા બાકીના રૂપિયા મોકલી આપો તો હું તમારું કામ પતાવી આપુ તેમ જણાવતા હસમુખભાઇ વોરાએ મિલીનકુમાર ઇન્દ્રવદનભાઈ પટેલને રૂ. 9.80 લાખ ચુકવી દીધા હતા હોવા છતાં તેણે કોઇ વિઝા બનાવી આપ્યા ન હતા. જેથી તેની પાસે રૂપિયા પરત માગતા તેણે માત્ર રૂ.1.55 લાખ પરત આપ્યાં હતા. જ્યારે બાકીના રૂ.8.25 લાખ મને પરત આપ્યા નથી અને સિંગાપોરના વિઝા પણ નહી બનાવી આપી મારી સાથે છેતરપીંડી આચરી છે. જેથી માંજલપુર પોલીસે મિલીન પટેલ વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 11:45 am

જામનગરમાં LCBની વિભાપરમાં રેડ:વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા, અન્ય બે સપ્લાયરના નામ ખુલ્યા

જામનગર તાલુકાના વિભાપર ગામમાં એલસીબી પોલીસે દરોડો પાડી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય બે સપ્લાયરના નામ ખુલ્યા છે. બાદમાં, ફરાર આરોપીઓ પૈકી એકને કાર અને દારૂ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. એલસીબીને બાતમી મળી હતી કે વિભાપર ગામની મધુરમ સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો વેચાણ માટે રાખવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પી.આઈ. વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ સી.એમ. કાંટેલીયા અને પી.એન. મોરીની ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, પોલીસે રૂ. 1,93,700ની કિંમતની 381 નાની-મોટી ઇંગ્લિશ દારૂની બોટલો અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 2,03,700નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ દરોડામાં વિભાપર ગામના પ્રેમનગરમાં રહેતા રઘુ વાકાભાઈ પરમાર અને મધુરમ સોસાયટીમાં રહેતા જયદેવસિંહ શિવુભા જાડેજા નામના બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પૂછપરછમાં નાઘેડીમાં રહેતા રામભાઈ ભરવાડ અને રામભાઈ મેર દ્વારા દારૂ સપ્લાય કરાયો હોવાનું કબૂલ્યું હતું, જેથી આ બંનેને ફરાર જાહેર કરવામાં આવ્યા હતા. ફરાર આરોપીઓની શોધખોળ દરમિયાન, મોડી રાત્રે નાઘેડી વિસ્તારમાં કન્યા છાત્રાલય પાસેથી કાર લઈને નીકળેલા રામભાઈ રામપુર જીવાભાઈ મોઢવાડિયાને પોલીસે અટકાવ્યા હતા. તેમની કારની તલાશી લેતા તેમાંથી વધુ 23 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે કાર અને દારૂ જપ્ત કરી રામભાઈ મોઢવાડિયાની ધરપકડ કરી હતી. રામભાઈ મોઢવાડિયાએ કબૂલ્યું હતું કે આ દારૂ પણ તેને નાઘેડીમાં રહેતા રામભાઈ ભરવાડે સપ્લાય કર્યો હતો. આથી, રામભાઈ ભરવાડની બંને કેસમાં શોધખોળ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 11:44 am

દહેગામના શિયાવાડામાં શ્રેષ્ઠ આરોગ્ય સેવા:આરોગ્ય સહિતની 12 સેવામાં 92.27% ગુણ સાથે ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ રાષ્ટ્રીય ક્વોલિટી એક્રિડિટેશન મળ્યું

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની આરોગ્ય સુવિધાઓમાં એક નવું મોર પિચ્છ ઉમેરાયું છે. દહેગામ તાલુકાના શિયાવાડા આયુષ્માન આરોગ્ય પેટા કેન્દ્રને ભારત સરકાર દ્વારા ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડનું રાષ્ટ્રીય એક્રિડિટેશન એનાયત કરવામાં આવ્યું છે. આરોગ્ય સહિતની 12 સેવામાં 92.27 ટકા ગુણ સાથે ઉત્કૃષ્ટ પ્રદર્શન રાષ્ટ્રીય ક્વોલિટી એક્રિડિટેશન આપવામાં આવ્યું છે. આયુષ્માન આરોગ્ય મંદિર શિયાવાડાએ રાષ્ટ્રીય કક્ષાના આ મૂલ્યાંકનમાં ઉત્કૃષ્ટ દેખાવ કરતા કુલ 92.27 % ગુણ પ્રાપ્ત કર્યા છે. ભારત સરકારના આરોગ્ય વિભાગની બે સભ્યોની ટીમે ગત 27 ઓક્ટોબરના રોજ વર્ચ્યુઅલ માધ્યમથી કેન્દ્રની કામગીરીનું ઝીણવટભર્યું અવલોકન કર્યું હતું. શિયાવાડા કેન્દ્રની કામગીરીનું ઓપીડી, રસીકરણ, કુટુંબ કલ્યાણ, OEEE, EMPNS, એનસીડી (NCD - બિનચેપી રોગો) તથા અન્ય એમ કુલ 12 પ્રકારની સેવાઓના સર્વિસ પેકેજમાં સુક્ષ્મ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રને આ સફળતા મળી છે. શિયાવાડા પેટા આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીય કક્ષાનો ક્વોલિટી સર્ટિફિકેશન પ્રાપ્ત થવા બદલ કેન્દ્ર સરકાર તરફથી આગામી ત્રણ વર્ષ માટે રૂપિયા 2 લાખ 18 હજારની ગ્રાન્ટ મળવા પાત્ર થશે. આ ગ્રાન્ટ કેન્દ્રને રાષ્ટ્રીય કક્ષાની ગુણવત્તા સતત જાળવી રાખવામાં મદદરૂપ થશે.કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એન.કયુ.એ.એસ. અંતર્ગત દેશભરના આરોગ્ય કેન્દ્રોની ગુણવત્તાલક્ષી ચકાસણી કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં સ્વચ્છતા અને ગુણવત્તાલક્ષી કામગીરીના આધારે ગુણાંક આપી રાષ્ટ્રીય માન્યતા એનાયત કરવામાં આવે છે. શિયાવાડા પેટા કેન્દ્રને આ માન્યતા મળતા ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય આરોગ્ય માળખા માટે ગૌરવની લાગણી જન્મી છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 11:42 am

મોરબીના આંદરણામાં સરપંચ સહિત 200 AAPમાં જોડાયા:ભાજપ ધારાસભ્યની નીતિથી નારાજ થઈ સામૂહિક પક્ષપલટો

મોરબી જિલ્લાના આંદરણા ગામમાં ભારતીય જનતા પાર્ટીને મોટો રાજકીય ફટકો પડ્યો છે. ગામના સરપંચ, ઉપસરપંચ સહિત 200 જેટલા યુવાનોએ ભાજપ છોડી આમ આદમી પાર્ટી (AAP)માં પ્રવેશ કર્યો છે. સ્થાનિક ભાજપના ધારાસભ્યની નીતિરીતિથી નારાજ થઈને આ સામૂહિક પક્ષપલટો કરવામાં આવ્યો છે. આ ઘટના આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા ગામડાઓમાં કરવામાં આવી રહેલા પ્રવાસ દરમિયાન બની હતી. આંદરણા ગામે યોજાયેલી AAPની સભામાં ખેડૂતો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. આ સભામાં જ સરપંચ નિતેશભાઈ ચાવડા અને ઉપસરપંચ અનિલભાઈ મારવાણીયાની આગેવાની હેઠળ 200 જેટલા યુવાનોએ AAPનો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના આગેવાન કે.ડી. બાવરવા અને મોરબી જિલ્લાના પ્રમુખ મહાદેવભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. AAPના આગેવાનો દ્વારા ગ્રામજનો સાથે ખેડૂતોના પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ગામના આગેવાનોએ જણાવ્યું કે, કેનાલની જમીન માટે કપાત, રોડ-રસ્તાની સમસ્યાઓ અને ગામનું તળાવ ભરવા સહિતના અનેક પ્રશ્નો અંગે ભાજપના ધારાસભ્યને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. જોકે, આજદિન સુધી આમાંથી એક પણ કામ થયું નથી. આથી, ભાજપના ધારાસભ્ય અને આગેવાનોની કાર્યપદ્ધતિથી નારાજ થઈને આ સામૂહિક પક્ષપલટો કરવાનો નિર્ણય લેવાયો હતો.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 11:22 am

ગોધરા પાસે ઈકો કારમાં આગ:પાનમ બ્રિજ નજીકની આખી ગાડી ભડભડ સળગવા લાગી; 5 મુસાફરનો આબાદ બચાવ થયો

ગોધરા નજીક પાનમ બ્રિજ પાસે એક ચાલુ ઈકો કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. સંતરોડથી ગોધરા તરફ જઈ રહેલી આ કારમાં સવાર પાંચ મુસાફરનો આબાદ બચાવ થયો હતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના ગોધરા-દાહોદ રોડ પર સંતરોડથી ગોધરા તરફ જતી વખતે બની હતી. પાનમ નદીના બ્રિજ પાસે પહોંચતા જ કોઈ અજાણ્યા કારણોસર ગાડીમાં આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આખી ગાડી ભડભડ સળગવા લાગી હતી. ગાડીમાં આગ લાગતા જ અંદર બેઠેલા ચારથી પાંચ મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, ડ્રાઈવર અને મુસાફરોએ સમયસૂચકતા વાપરી તાત્કાલિક ગાડીમાંથી નીચે ઉતરી જતા તમામનો જીવ બચી ગયો હતો. જાહેર માર્ગ પર ગાડી સળગતી જોઈ આસપાસના રાહદારીઓ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતા જ રોડ સેફ્ટીના કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. સુરક્ષાના ભાગરૂપે અને અન્ય કોઈ અકસ્માત ન થાય તે માટે રોડ સેફ્ટીની ટીમે બ્રિજ પરનો એક તરફનો વાહન વ્યવહાર થોડા સમય માટે બંધ કરાવી ટ્રાફિકનું નિયમન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 11:04 am

ભરૂચમાં લઘુત્તમ તાપમાન 18°C નોંધાયું:વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો વધ્યો

ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ઠંડીનો પ્રભાવ અનુભવાઈ રહ્યો છે. આજે સવારે લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો, જેના કારણે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનું પ્રમાણ વધ્યું હતું. ઠંડીના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ ગરમ કપડાં પહેરીને બહાર નીકળતા જોવા મળ્યા હતા. જોકે, બપોરના સમયે ઠંડીનું પ્રમાણ ઘટતા વાતાવરણ સામાન્ય બન્યું હતું. હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે આગાહી કરી છે કે મહત્તમ તાપમાન વધીને 32 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. બીજી તરફ, વધતી પવન ગતિને ધ્યાનમાં રાખીને કૃષિ વિભાગે ખેડૂતોને સલાહ આપી છે કે ખેતી પાકમાં દવાનો છંટકાવ પવનની ગતિ ઓછી થાય ત્યારે જ કરવો, જેથી દવાનો અસરકારક ઉપયોગ થઈ શકે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 10:55 am

કચ્છનું નલિયા 10.8 ડિગ્રી સાથે સૌથી ઠંડું:સતત પાંચમા દિવસે રાજ્યનું શીત મથક બન્યું

કચ્છમાં શિયાળો ધીમે ધીમે તેની પકડ જમાવી રહ્યો છે. નલિયા સતત પાંચમા દિવસે રાજ્યનું સૌથી ઠંડું મથક બન્યું છે, જ્યાં લઘુતમ તાપમાન 10.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હવામાન વિભાગે આગામી સાત દિવસમાં લઘુતમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થવાની આગાહી કરી છે, જેના કારણે ઠંડીમાં આંશિક રાહત મળી શકે છે. જિલ્લામાં ખાસ કરીને મોડી સાંજથી વહેલી સવાર સુધી ઠંડીનો ચમકારો વધુ અનુભવાઈ રહ્યો છે, જેના પગલે લોકોને ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી રહી છે. નલિયામાં ગઈકાલે મહત્તમ તાપમાન 33.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે વાતાવરણમાં વિષમતા દર્શાવે છે. દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થતાં લોકો પંખા અને એસીનો ઉપયોગ કરી રહ્યા છે. જિલ્લા મથક ભુજમાં લઘુતમ તાપમાન સામાન્ય ઘટાડા સાથે 14.5 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું છે. શહેરીજનો સાંજ ઢળતાં જ ઠંડીનો વિશેષ અનુભવ કરી રહ્યા છે. અંજાર અને ગાંધીધામમાં પણ લઘુતમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાઈ રહ્યું છે. સમગ્ર જિલ્લામાં હાલ ક્યાંક ઠંડી તો કોઈ સ્થળે બપોરના સમયે તીવ્ર તાપનો અનુભવ થઈ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 10:55 am

રાણપુરના તળાવમાંથી આધેડનો મૃતદેહ મળ્યો:ફાયર વિભાગે મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

જૂનાગઢના ​​​રાણપુરમાં તળાવમાંથી આધેડનો મૃતદેહ મળ્યો છે. મનપા ફાયર વિભાગે મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. 45 વર્ષીય મનોજભાઈ મારુનું મોત થતાં પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 10:50 am

મોરબીમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતાયાત્રા:રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાએ પ્રસ્થાન કરાવ્યું, અનેક મહાનુભાવો જોડાયા

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે મોરબીમાં જિલ્લા કક્ષાની એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયા, રાજકીય આગેવાનો, કલેક્ટર સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. યાત્રા મોરબીના સનાળા રોડ પર આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી શરૂ થઈને મણીમંદિર સુધી યોજાઈ હતી. મોરબીના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના શ્રમ, રોજગાર અને કૌશલ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સનાળા રોડ પરની સરદાર પટેલની પ્રતિમા પાસેથી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી શહેર ભાજપ પ્રમુખ રિશીપભાઈ કૈલા સહિતના અગ્રણીઓ અને કલેક્ટર સ્વપ્નિલ ખરે ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં એકતા યાત્રામાં જોડાયા હતા. યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ત્યારે જય સરદારના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ આ તકે જણાવ્યું હતું કે, દેશના 562 રજવાડાઓને એક કરીને અખંડ ભારતના નિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલનું મહત્વનું યોગદાન હતું, જેના કારણે તેઓને 'લોખંડી પુરુષ' તરીકે ઓળખવામાં આવે છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમાના નિર્માણ માટે જે ફાળો એકત્ર કરાયો હતો, તેમાં મોરબીના ઉદ્યોગકારોએ નરેન્દ્ર મોદીની ચાંદીથી તુલા કરી હતી તે ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે મોરબી માટે ગર્વની વાત છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 10:48 am

SRPનો ASI લાંચ લેતા ઝડપાયો:SRPના કર્મચારી મંડળી માટે ગિફ્ટ મંગાવી ગિફ્ટનું બિલ પાસ કરવા 1.44 લાખની લાંચ લેતા ઝડપાયા

ગોધરા SRPના કર્મચારી મંડળ માટે SRPના ASIએ ગિફ્ટ મંગાવી હતી. ગિફ્ટ માટેનું 8.37 લાખ રૂપિયા બિલ બન્યું હતું. જે બિલ પાસ કરવા ગિફ્ટનું કામ કરનાર વેપારી પાસેથી ASIએ 2.51 લાખ રૂપિયા માંગ્યા હતા. જેમાંથી 97 હજાર અગાઉ આપી દીધા હતા જ્યારે બાકીના 1.44 લાખ રૂપિયા આપવાના બાકી હતા. જે રૂપિયા લેવા SRPના ASI રોશન કુમાર ભુરીયા વતી AMCનો સુપરવાઈઝર પ્રિન્સ ડામોર ગયો હતો. ACBએ લાંચ લેતા AMCના સુપરવાઈઝર અને SRPના ASIને ઝડપી લીધા છે. 670 નંગ ગિફ્ટ આર્ટીકલનો ઓર્ડર આપ્યો હતોગોધરા SRP ગ્રુપ 5માં ફરજ બજાવતા ASI રોશન કુમાર ભુરીયા કર્મચારી ધિરાણ ગ્રાહક સરકારી મંડળીના મંત્રી છે. સપ્ટેમ્બર મહિનામાં રોશન કુમારે પોતાની મંડળીના સભ્યોને વાર્ષિક ભેટ આપવા માટે 670 નંગ ગિફ્ટ આર્ટીકલનો ઓર્ડર આપ્યો હતો.ઓર્ડર આપતા સમયે જ રોશન કુમારે થોડો ઘણો વ્યવહાર કરવો પડતો હોય છે એવી વાતચીત કરી હતી.જે બાદ 13 નવેમ્બરના રોજ ફરિયાદીએ ગિફ્ટ આર્ટીકલ મોકલ્યા હતા જેના 8.37 લાખ રૂપિયા લેવાના હતા. ફરિયાદીએ 97,000 ASI રોશન કુમારના કહેવાથી સુપરવાઇઝરને આપ્યા હતાબિલની રકમના કુલ 30 ટકા લેખે 2.51 લાખ રૂપિયાની માંગણી કરતા ફરિયાદીએ રકઝક કરી હતી.જોકે ફરિયાદી શરૂઆતમાં 97,000 ASI રોશન કુમારના કહેવાથી કોન્ટ્રાક્ટ પરના સોલિડ વેસ્ટ કલેક્શન વિભાગમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા પ્રિન્સ ડામોર નામના વ્યક્તિને આપ્યા હતા.જે બાદ બાકીના 1.44 લાખ રૂપિયાની પણ રોશન કુમારે માંગણી કરી હતી. ACBએ છટકું ગોઠવી આરોપીને ઝડપી લીધાફરિયાદીને લાંચ ના આપવી હોવાથી ACBનો સંપર્ક કર્યો હતો. ACBએ છટકું ગોઠવ્યું હતું જે દરમિયાન ફરિયાદીએ બાકીની લાંચની રકમ લેવા માટે રોશન કુમારને તેમની જ નહેરુ બ્રિજ ખાતે આવેલી ઓફિસમાં બોલાવ્યા હતા. રોશનકુમાર વતી ફરીથી લાંચ લેવા માટે પ્રિન્સ ડામોર જ આવ્યો હતો. ACBએ પ્રિન્સ ડામોરને ફરિયાદીની ઓફિસમાં જ લાંચ લેતા ઝડપી લીધો હતો. જ્યારે રોશન કુમારને ઓઢવ રીંગરોડ ખાતે આવેલા AMCના પાર્કિંગમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. ACBએ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 10:26 am

સુરત જિલ્લા ક્રિકેટ એસો.ના પ્રમુખ કનૈયા કોન્ટ્રાક્ટરની ધરપકડ:આર્થિક ગુના નિવારણ સેલે કરોડો રૂપિયાની ઠગાઈ અને વિશ્વાસઘાતના કેસમાં ધરપકડ કરી

સુરત જિલ્લા ક્રિકેટ એસોસિએશન (SDCA)ના પ્રમુખ અને શહેરના જાણીતા વ્યક્તિ કનૈયાભાઈ કોન્ટ્રાક્ટર (ઉંમર 82 વર્ષ)ની આર્થિક ગુના નિવારણ સેલ દ્વારા કરોડો રૂપિયાની ઠગાઈ અને વિશ્વાસઘાતના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તેમના દ્વારા સગાં-સંબંધીઓ સાથે આચરવામાં આવેલી છેતરપિંડી અને પદનો દુરુપયોગ કરવાના આક્ષેપોએ ખળભળાટ મચાવ્યો છે. ઠગાઈની સમગ્ર વિગત: બોગસ પાવર ઓફ એટર્નીથી 2.92 કરોડની લોનકેસની વિગત અનુસાર, આરોપી કનૈયાભાઈ કોન્ટ્રાક્ટરે તેમના સગાભાઈ સ્વર્ગસ્થ હેમંતભાઈ અને ભાભી નયનાબેન કોન્ટ્રાક્ટરના નામે રહેલી પેઢીની મિલકતોના બોગસ પાવર ઓફ એટર્ની બનાવ્યા હતા. આ બનાવટી દસ્તાવેજો પર ખોટી સહીઓ કરીને તેમણે બજાજ ફાઈનાન્સ કંપનીમાંથી રૂપિયા 2.92 કરોડની લોન મેળવી હતી. લોન મેળવ્યા બાદ કનૈયા કોન્ટ્રાક્ટરે લોનના હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું, જેના કારણે તેમના ભાઈ અને ભાભી મુશ્કેલીમાં મુકાયા. આ કૃત્ય બદલ તેમની સામે સુરત ઈકો સેલમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ સુધી ચાલેલી કાયદાકીય લડાઈધરપકડના ડરથી કનૈયા કોન્ટ્રાક્ટરે સૌપ્રથમ સુરતની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જોકે, મૂળ ફરિયાદી તરફે વકીલ મનવી પટેલની ધારદાર દલીલો અને સરકારી વકીલની રજૂઆતોને ધ્યાનમાં રાખીને કોર્ટે તેમની જામીન અરજી નામંજૂર કરી હતી.ત્યારબાદ, ગુજરાત હાઈકોર્ટ અને અંતે સુપ્રીમ કોર્ટમાં પણ તેમની આગોતરા જામીન અરજીઓ ફગાવી દેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કનૈયા કોન્ટ્રાક્ટરને 6 અઠવાડિયાનો સમય આપીને બે મુખ્ય નિર્દેશો કર્યા હતા * બોગસ ડોક્યુમેન્ટ્સથી મેળવેલી લોનની સંપૂર્ણ ભરપાઈ કરવી.* બનાવેલા બોગસ દસ્તાવેજો મૂળ ફરિયાદીને પરત કરવા. સુપ્રીમના આદેશનું અનાદર રાહત રદ્દસુપ્રીમ કોર્ટના આદેશ બાદ કનૈયા કોન્ટ્રાક્ટરે લોનની રકમ તો ભરી દીધી, પરંતુ બોગસ ડોક્યુમેન્ટ્સ પરત આપ્યા ન હતા. આ અંગે મૂળ ફરિયાદીએ ફરીવાર સુપ્રીમ કોર્ટમાં પીટિશન કરીને આરોપીની દસ્તાવેજો પરત ન આપવાની ગુનાહિત માનસિકતા રજૂ કરી હતી. આખરે, સુપ્રીમ કોર્ટે કનૈયા કોન્ટ્રાક્ટરને આપવામાં આવેલી વચગાળાની તમામ રાહત રદ્દ કરી દીધી હતી અને વચગાળાનું રક્ષણ પણ પરત ખેંચી લેવાયું હતું. સાથે જ, અન્ય કોઈ કોર્ટમાં કરાયેલી અરજીઓને પણ ખારીજ કરવાનો હુકમ કર્યો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા રક્ષણ પાછું ખેંચી લેવાતા, સુરત ઈકો સેલે તાત્કાલિક કાર્યવાહી કરીને SDCAના પ્રમુખ કનૈયા કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી કાયદાનું શસ્ત્ર ઉગામ્યું છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 10:24 am

નજીવી બાબતે માથાકૂટ:રીક્ષા ચાલક પર પાંચ શખ્સોએ છરી અને પાઇપ વડે હુમલો કર્યો, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો

ભાવનગર શહેરના સુભાષનગર ચોક પાસે મોડી રાત્રે પાંચ શખ્સોએ રીક્ષા ચાલક પર છરી અને લોખંડના પાઇપ વડે હુમલો કરતા રીક્ષા ચાલક ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ અંગે રીક્ષા ચાલક ની પત્નીએ ઘોઘા રોડ પોલીસ મથકે પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ઉર્મિલાબેન જીગ્નેશભાઈ રાઠોડ રહે.સુભાષનગર, પ્રધાનમંત્રી આવાસ યોજના, ભાવનગર એ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના પતિ જીગ્નેશ પ્રવીણભાઈ રાઠોડ રીક્ષા ડ્રાઇવિંગ કરે છે તા.19/11/2025 ના રોજ તેમના ફ્લેટમાં રહેતા રવિ અને આકાશે તેમના ઘર બહાર રાખેલા ફૂલછોડના કુંડા તોડી નાખ્યા હતા. આ બાબતે ઠપકો આપતા બપોરે 3:30 વાગ્યા આસપાસ રવિ અને આકાશે ઉર્મિલાબેન, તેમના માતા ભાવનાબેન અને ભાઈ રોહિત સાથે મારામારી કરી હતી, જેમાં તેમને સામાન્ય ઈજાઓ થઈ હતી અને સર ટી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ત્યારબાદ સાંજે 8:30 વાગ્યે સારવાર કરાવી ઉર્મિલાબેન, તેમના પતિ જીગ્નેશભાઈ, ભાઈ રોહિત અને માતા ભાવનાબેન સુભાષનગર ભગવાનેશ્વર મંદિર પાસે પહોંચ્યા હતા. ત્યાં રોડ પર હાજર આકાશ અને રવિએ તેમને રોકી ગાળો આપવાનું શરૂ કર્યું. ગાળો દેવાની ના પાડતા આકાશે લોખંડના પાઇપ વડે જીગ્નેશભાઈના માથામાં ઘા માર્યો હતો. તે જ સમયે, રવિએ છરી વડે જીગ્નેશભાઈની પીઠના ભાગે હુમલો કર્યો. આ ઉપરાંત, રોહન રાજુભાઈ પરમાર, રોહિત ઉર્ફે ભોટી રાજુભાઈ પરમાર અને રોનક ઉર્ફે નાનું રાજુભાઈ પરમાર પણ ત્યાં આવી પહોંચ્યા હતા. રોહનના હાથમાં પણ છરી હતી, જેનો એક ઘા તેણે જીગ્નેશભાઈની પીઠમાં માર્યો. રોહિત ઉર્ફે ભોટી અને રોનકના હાથમાં લાકડાના ધોકા હતા, જેના વડે તેઓએ જીગ્નેશભાઈને માર માર્યો હતો. ઉર્મિલાબેન અને તેમના ભાઈ રોહિત વચ્ચે પડતા તેમને પણ મુંઢમાર મારવામાં આવ્યો હતો. હુમલાખોરોએ ધમકી આપી હતી કે જો તેઓ માથાકૂટ કરશે તો જાનથી મારી નાખશે. આ ઝપાઝપીમાં રોહિતનો ચાંદીનો ચેન પણ પડી ગયો હતો. ગંભીર રીતે ઘાયલ જીગ્નેશભાઈને 108 એમ્બ્યુલન્સ દ્વારા ભાવનગરની સર ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને માથામાં ગંભીર ઈજા થઈ છે જ્યાં ટાંકા લેવામાં આવ્યા છે, અને પીઠના ભાગે પણ ગંભીર ઈજા થતાં ડોકટરોએ ઓપરેશન કરવાનું જણાવ્યું છે અને તેમને એસ.આઈ.સી.યુ. વોર્ડમાં સારવાર અપાઈ રહી છે. ઉર્મિલાબેને રોહન રાજુભાઈ પરમાર, રોહિત ઉર્ફે ભોટી રાજુભાઈ પરમાર, રોનક ઉર્ફે નાનુ રાજુભાઈ પરમાર, રવિ તથા આકાશ પાંચેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 10:21 am

તાલાલા તાલુકા પંચાયતમાં 10 હજાર લોકોએ 1 કર્મચારી:15 પોસ્ટ ખાલી, કર્મચારીઓ ઉપર કામનું ભારણ, અરજદારોને સરકારી કામો માટે ધક્કા; ગતિશીલ ગુજરાતની વાસ્તવિક સ્થિતિ

ગતિશીલ ગુજરાતના દાવાઓ વચ્ચે તાલાલા તાલુકા પંચાયતમાં સ્ટાફની ભારે અછતને કારણે વહીવટી કામગીરી ખોરવાઈ ગઈ છે. સપ્ટેમ્બર 2025માં જ 3.5 કરોડના ખર્ચે નવું સેવાસદન બન્યા છતાં, 1.20 લાખથી વધુ વસ્તીના કામકાજ માટે માત્ર 12 કર્મચારી જ કાર્યરત હોવાથી અરજદારોને સરકારી કામો માટે ધક્કા ખાવા પડી રહ્યા છે, જ્યારે હાલના કર્મચારીઓ ઉપર કામનું અસહ્ય ભારણ વધ્યું છે. 29ના સેટઅપ સામે માત્ર 14, વાસ્તવિકતામાં 12 કર્મચારીતાલાલા તાલુકા પંચાયતમાં કુલ 29 કર્મચારીનો સેટઅપ મંજૂર થયેલો છે, પરંતુ હાલમાં આ સેટઅપના માત્ર 40 ટકા જેટલા એટલે કે માત્ર 14 કર્મચારી ફરજ પર છે. જોકે, આ 14માંથી પણ 2 કર્મચારી અન્ય તાલુકા (સૂત્રાપાડા અને ઉના)માં ચાર્જ સંભાળતા હોવાથી, તાલાલા સેવાસદનમાં વાસ્તવિક રીતે માત્ર 12 કર્મચારી જ કામકાજ સંભાળે છે. આના કારણે તાલાલા તાલુકામાં દર 10,000 લોકોએ માત્ર 1 કર્મચારી જ ઉપલબ્ધ છે. ATDO સહિત 15 મહત્વની પોસ્ટ ખાલીતાલુકા પંચાયતમાં 15 જગ્યા ખાલી છે, જેમાં વહીવટી અને વિકાસલક્ષી કામગીરી માટેની અતિ મહત્વની પોસ્ટનો પણ સમાવેશ થાય છે. ખાલી પડેલી મુખ્ય જગ્યાઓમાં એટીડીઓ (ATDO), સહકાર વિભાગના વિસ્તરણ અધિકારી, બાંધકામ શાખા, ઘરથાળ શાખા, કેળવણી નિરીક્ષક, પશુધન નિરીક્ષક, જુનિયર ક્લાર્ક (વહીવટ), જુનિયર ક્લાર્ક (હિસાબી) અને પટ્ટાવાળા જેવી પોસ્ટનો સમાવેશ થાય છે. ખાસ કરીને, જે બે કર્મચારી તાલાલાના સેટઅપ પર છે પરંતુ અન્ય તાલુકામાં ચાર્જ પર છે, તેમનું વેતન તાલાલા તાલુકા પંચાયત દ્વારા ચૂકવવામાં આવે છે. આના કારણે તાલાલા તાલુકા પંચાયતને સ્ટાફનો અભાવ હોવા છતાં આર્થિક ભારણ પણ સહન કરવું પડે છે. અરજદારોને ધક્કા, કર્મચારીઓ પર ભારણસ્ટાફની આ ભારે અછતની સીધી અસર તાલુકાના સામાન્ય ગ્રામીણ અરજદારો પર પડી રહી છે. તાલાલા તાલુકા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ કિશન પાનસુરીયાએ જણાવ્યું હતું કે, સેટઅપના માત્ર 40 ટકા સ્ટાફ હોવાથી અરજદારોને ભારે હાલાકી પડે છે. લોકોના કામો સમયસર પૂર્ણ થતા નથી. હાલના કર્મચારીઓ પર નિયમિત વહીવટી કામો ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓ અને વધારાની કામગીરીનો ભાર પણ આવી પડ્યો છે, જેના કારણે તેમને સેટઅપ મુજબના સ્ટાફની ગેરહાજરીમાં અતિશય કામ કરવું પડે છે. તાલાલા તાલુકા વિકાસ અધિકારી (TDO) રિઝવાન કોઢિયાએ આ અંગે જણાવ્યું હતું કે, દર મહિને કર્મચારીપત્રક જિલ્લા કક્ષાએ (નાયબ જિલ્લા વિકાસ અધિકારી)ને રિપોર્ટ કરવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષથી તેઓ ઓછા સ્ટાફ વચ્ચે પણ કામગીરી પૂરી કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. તાત્કાલિક ધોરણે સ્ટાફની નિમણૂક કરવામાં માગસ્થાનિક લોકો અને કારોબારી સમિતિ દ્વારા તાલાલા તાલુકા પંચાયતમાં સેટઅપ મુજબ તાત્કાલિક ધોરણે સ્ટાફની નિમણૂક કરવામાં આવે તેવી પ્રબળ માંગણી કરવામાં આવી છે, જેથી વહીવટી કામગીરી સુચારુ રૂપે ચાલી શકે અને અરજદારોની હાલાકી દૂર થાય. સપ્ટેમ્બરમાં જ આ સેવા સદનનું લોકાર્પણ થયું હતું1 સપ્ટેમ્બરે તાલાલા ખાતે ₹3.10 કરોડના ખર્ચે નિર્માણ પામેલા નવા તાલુકા પંચાયત સેવા સદનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાન બારડ, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાળ, તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ અનિલાબેન બારડ અને અન્ય મહાનુભાવોએ રિબન કાપીને ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. સાંસદ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આ સેવા સદનમાં અરજદારોને સુવિધાપૂર્ણ વાતાવરણમાં કામકાજ પૂર્ણ થાય અને તેઓ સંતોષ સાથે પરત ફરે તે મહત્વનું છે. ધારાસભ્ય બારડે નાગરિકોને અપીલ કરી હતી કે, આ ભવન પ્રજાના ટેક્સના નાણાંથી બનેલું છે, તેથી તેની જાળવણી પોતાની મિલકત સમજીને કરવી જોઈએ. (વાંચો આખો અહેવાલ)

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 10:10 am

અમરેલીમાં બાળકો સાથે અડપલા: SPએ 'મિશન સ્માઇલ' શરૂ કર્યું:1300 શાળામાં 2 લાખ બાળકોને 'ખાખી' ટ્રેનિંગ અપાશે

અમરેલી જિલ્લામાં શાળાઓમાં બાળકો સાથે અડપલાના બનાવો સામે આવ્યા બાદ પોલીસ સક્રિય બની છે. આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં રાખીને, જિલ્લા પોલીસ અધિક્ષક (SP) સંજય ખરાતે મિશન સ્માઇલ નામનો એક નવતર પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને સુરક્ષિત રાખવાનો અને તેમને ખરાબ સ્પર્શ અંગે જાગૃત કરવાનો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત, અમરેલીથી લઈને દરિયાઈ ટાપુ શિયાળબેટ સુધીની કુલ 1300 શાળાઓમાં સેમિનાર યોજવામાં આવશે. આ સેમિનાર દ્વારા અંદાજે 2 લાખ બાળકોને પોલીસ ટ્રેનિંગ આપવામાં આવશે. SP સંજય ખરાતે આવા બનાવોનું વિશ્લેષણ કર્યા બાદ અને પોલીસ કેસ વગરના અનેક કિસ્સાઓ વધતા જોઈને આ પહેલ કરી છે. મિશન સ્માઇલ કાર્યક્રમનું નેતૃત્વ નયના ગોરડીયા કરી રહ્યા છે. વિવિધ પોલીસ ટીમો, આંગણવાડી કર્મચારીઓ અને શિક્ષણાધિકારીઓ સાથે મળીને શાળાઓમાં આ સેમિનાર યોજી રહ્યા છે. બાળકોને સરળતાથી સમજાવવા માટે ટીવી સ્ક્રીન પર કાર્ટૂન દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, જેથી તેઓ માહિતીને વધુ સારી રીતે ગ્રહણ કરી શકે. આ ટ્રેનિંગમાં બાળકોને સ્પષ્ટપણે સમજાવવામાં આવે છે કે તેમને કોણ સ્પર્શ કરી શકે અને કોણ નહીં. પરિવાર સિવાય કોઈને પણ અંગત અંગોને સ્પર્શ ન કરવા માટે માર્ગદર્શન અપાય છે. ખરાબ સ્પર્શ કોને કહેવાય, સારો સ્પર્શ કોને કહેવાય અને કયા અંગો ખાનગી છે, તે વિશે વિગતવાર માહિતી આપવામાં આવે છે. પોલીસની ટીમો દ્વારા બાળકોને શીખવવામાં આવે છે કે જો કોઈ શિક્ષક કે અન્ય વ્યક્તિ ખરાબ સ્પર્શ કરે તો શું કરવું અને કેવી રીતે પોલીસને જાણ કરવી. આ અભિયાનમાં SP, DYSP, અન્ય પોલીસ કર્મચારીઓ, આંગણવાડી કર્મચારીઓ અને શિક્ષણાધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી બાળકોની સુરક્ષા વધારવા માટે સકારાત્મક અભિગમ દાખવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 10:07 am

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર સતત બીજા દિવસે અકસ્માત, 2ના મોત:ટ્રક-કાર વચ્ચે અકસ્માતમાં બે ઈજાગ્રસ્તને ગોત્રી હોસ્પિટલમાં ખસેડાયા, તમામ સુરતના રહેવાસી

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર સતત બીજા દિવસે અકસ્માત થયો છે. ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં કારમાં બેઠેલા બે લોકોના મોત થયા છે જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં મૃતક અને ઈજાગ્રસ્ત તમામ સુરતના રહેવાસી છે. અકસ્માતની તસવીરો ગઈકાલે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ડોક્ટરે મજૂરોને ઉડાવ્યા, 2નાં મોત ગઇકાલે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતમાં 2 મજૂરનાં મોત થયાં હતા. પાદરાના સરસવણી ગામ નજીક હાઇવે સમારકામની કામગીરી દરમિયાન કારચાલક ડોક્ટરે બે મજૂરને અડફેટે લેતાં મોત થયાં હતા. કુલ 5 મજૂર કામ કરતા હતા, જેમાંથી 3નો આબાદ બચાવ થયો હતો. વડોદરાથી ભરૂચ તરફ જતી કારે અચાનક નિયંત્રણ ગુમાવી મજૂરોને અડફેટે લીધા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છે

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 10:06 am

મહેસાણા જિલ્લા પોલીસ બેડામાં હડકંપ:જિલ્લા પોલીસ વડાએ 747 પોલીસકર્મીની સામૂહિક બદલી કરી

મહેસાણા જિલ્લા પોલીસ બેડામાં અચાનક મોટો હડકંપ મચી ગયો છે. જિલ્લા પોલીસ વડા દ્વારા એકસાથે 747 પોલીસકર્મીની આંતરિક બદલીઓનો આદેશ કરવામાં આવ્યો છે. આટલી મોટી સંખ્યામાં પોલીસકર્મીઓની એકસાથે બદલી થતાં જિલ્લાભરમાં આ નિર્ણય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. છેલ્લા કેટલાક સમયથી મહેસાણા જિલ્લામાં અનેક વિવાદો ચાલી રહ્યા છે. આ સામૂહિક બદલીથી પોલીસ વિભાગમાં કહી ખુશી, કહી ગમ જેવો માહોલ સર્જાયો છે. ખાસ કરીને હાલમાં મહેસાણા જિલ્લામાં SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ) દ્વારા પકડાયેલા દારૂના મોટા જથ્થાને લઈને પોલીસ વિભાગ વિવાદના વમળોમાં ઘેરાયેલો છે. આ દારૂના વિવાદ વચ્ચે જ SP દ્વારા સાગમટે 747 પોલીસકર્મીની બદલી કરવાનો નિર્ણય લેવાતા આ બદલીઓને દારૂના વિવાદ સાથે જોડીને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. આટલી મોટી સંખ્યામાં કરાયેલી બદલીઓ પાછળ વહીવટી કારણોની સાથે-સાથે જિલ્લાના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો લાવવાનો અને વિવાદિત પ્રવૃત્તિઓ પર લગામ કસવાનો હેતુ પણ હોઈ શકે છે, જેના કારણે જિલ્લા પોલીસ બેડામાં હાલ તંગદિલી અને આશ્ચર્યનો માહોલ છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 9:19 am

પૂર્વમાં ફરી સર્જાશે જળસંકટ!:વડોદરાના પૂર્વ વિસ્તારમાં આજવા સરોવર પાણી પુરવઠા લાઇન જોડાણને લઈ પાણી કાપ,જાણો કયા કયારે પાણી કાપ રહેશે

વડોદરા મહાનગરપાલિકાની પાણી પુરવઠા શાખા દ્વારા આજવા સરોવરથી વધુ પાણી પુરવઠો કરવા નવી પાઈપલાઈન જોડાણ કામગીરીને કારણે આગામી 25થી 27 નવેમ્બર દરમિયાન અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે. જાણો કયા વિસ્તારમાં ક્યારે પાણી નહીં આવે. વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા શાખા દ્વારા શહેરીજનોને નજીકના ભવિષ્યમાં આજવા સરોવરમાંથી વધુ માત્રામાં પાણી પુરવઠો મેળવી શકાય તે માટે નળીકા જોડાણની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી અંતર્ગત આજવા સરોવરથી નીમેટા સુધી નાખવામાં આવેલી નવી 1524 મીમી વ્યાસની મોટી પાઈપલાઈનને હાલની પાઈપલાઈન સાથે જોડવાનું તેમજ નવો મેનીફોલ્ડ સ્થાપવાનું કામ હાથ ધરવાનું છે. આ કામગીરીના કારણે આજવા ઈન્ટેકવેલથી મુખ્ય પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે જેના કારણે શહેરના પાણીગેટ ટાંકી, નાલંદા ટાંકી, ગાજરાવાડી ટાંકી, બાપોદ ટાંકી, કપુરાઈ ટાંકી, સયાજીપુરા ટાંકી સંખેડા, દશાલાડ, મહેશનગર, સોમાતળાવ, દંતેશ્વર, મહાનગર, નંદધામ વગેરે ઓનલાઈન બુસ્ટર વિસ્તારો પાણી બંધ રહેશે. આ કામગીરી માટે આગામી 25 નવેમ્બરના રોજ સાંજના સમયે, 26 નવેમ્બરના રોજ સવાર અને સાંજ , 27 નવેમ્બરે સવારના સમયે પાણી પુરવઠો બંધ રહેશે. આ દરમિયાન આજવા ટાંકી અને લાલબાગ ટાંકીમાંથી કાપથી (અલગ વ્યવસ્થાથી) પાણી વિતરણ કરવામાં આવશે. આગામી 27 નવેમ્બરે સાંજથી તમામ ટાંકીઓ/બુસ્ટરના વિસ્તારોમાં ઓછા પ્રેશરે અને ઓછા સમય માટે પાણી વિતરણ કરવામાં આવશે. જેથી લોકોએ આ કામગીરીમાં સહકાર આપવા અને જરૂરી પાણીનો સંગ્રહ કરવો તેવી સૂચનાઓ જારી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 9:10 am

પાટણમાં ઠંડીનો ચમકારો, તાપમાન 13 ડિગ્રી:ગરમ વસ્ત્રોની ખરીદી માટે લોકોનો ધસારો વધ્યો

પાટણ શહેરમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ઉત્તર દિશામાંથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જે 13ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. ઠંડી વધતાની સાથે જ શહેરીજનો સવારથી ગરમ વસ્ત્રો પહેરીને કામ ધંધે નીકળતા જોવા મળ્યા હતા. પ્રગતિ મેદાન વિસ્તારમાં ગરમ વસ્ત્રોની ખરીદી માટે લોકોનો ધસારો વધ્યો છે. આ ઠંડીનો ચમકારો ઘઉં, જીરુ, વરિયાળી, રાયડો અને અજમો જેવા શિયાળુ પાકો માટે ફાયદાકારક સાબિત થશે. ખેડૂતો આ ઠંડીને પાક માટે અનુકૂળ માની રહ્યા છે. છેલ્લા બે દિવસથી શિયાળાની અસર વર્તાઈ રહી છે અને આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધુ વધવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 9:00 am

નવસારીના મરોલી બજારમાં શાકભાજી વાનમાં આગ લાગી:ચાલકે સમયસૂચકતા વાપરતા મોટી જાનહાનિ ટળી, વાન બળીને ખાખ

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મરોલી ગામમાં વહેલી સવારે મરોલી બજાર વિસ્તારમાંથી પસાર થઈ રહેલી શાકભાજી ભરેલી વાનમાં અચાનક આગ લાગી હતી. ચાલકની સમયસૂચકતાને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. વાન મરોલી બજારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે ચાલકને એન્જિન તરફથી ધુમાડો નીકળતો દેખાયો હતો. ચાલકે તુરંત જ વાનમાંથી નીચે ઉતરીને પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી. ચાલક બહાર નીકળ્યાની ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોતજોતામાં આખી વાન આગની લપેટમાં આવી ગઈ હતી અને સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ નવસારી ફાયર વિભાગની ટીમ ફાયર ફાયટરો સાથે સ્થળ પર પહોંચી હતી. ફાયરકર્મીઓએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો અને તેને વધુ ફેલાતી અટકાવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવા છતાં, શાકભાજી ભરેલી વાન બળીને ખાખ થઈ જતાં વાન ચાલકને મોટું આર્થિક નુકસાન થયું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 8:51 am

ચાણસ્મા કિશોરી અપહરણ-દુષ્કર્મ: આરોપીને દસ વર્ષની સખ્ત કેદ:પાટણ કોર્ટે 55 હજાર દંડ, ભોગ બનનારને 3 લાખ વળતરનો આદેશ

ચાણસ્મા પંથકની એક સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં પાટણની સ્પેશિયલ પોક્સો (સેશન્સ) કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી ભરત મંછાભાઈ દેવીપૂજક​​​​​​​ને દોષિત ઠેરવી દસ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. આરોપીને કુલ રૂ. 55,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જો દંડ ન ભરે તો વધુ કેદની સજા ભોગવવાનો આદેશ અપાયો છે. આ કેસમાં સરકારી વકીલ જિતેન્દ્રભાઈ જે. બારોટે રજૂઆત કરી હતી. કોર્ટે આરોપીને IPC કલમ 363/366 હેઠળ ત્રણ વર્ષની સખ્ત કેદ અને રૂ. પાંચ હજારનો દંડ તથા POCSO એક્ટની કલમ 3(એ), 4,5(જે)(2), 5(એલ), 6અંતર્ગત દસ વર્ષની સખ્ત કેદ અને રૂ. 50હજારનો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરાય તો વધારાની કેદની સજાનો પણ હુકમ કરાયો છે. આ ઉપરાંત, કોર્ટે ભોગ બનનાર સગીરાને વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂ. 3 લાખ​​​​​​​નું વળતર ચૂકવવા માટે પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને ભલામણ કરી છે. પાટણની પોક્સો કોર્ટના જજ બિપીનભાઈ કે. બારોટે પોતાના 21પાનાના ચુકાદામાં જણાવ્યું હતું કે, સમગ્ર પુરાવા પરથી એવું નિશંકપણે પુરવાર થયું છે કે ભોગ બનનાર સગીરા હતી અને તે સંમતિ આપવાને લાયક નહોતી. સગીરા પોતાનું સારું-નરસું વિચારી શકે તેમ ન હોવા છતાં આરોપી ભરતભાઈ મંછાભાઈ દેવીપૂજકે તે સગીર હોવાનું જાણવા છતાં તેનું અપહરણ કરીને અલગ અલગ સ્થળોએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. જેના પરિણામે ભોગ બનનાર એક બાળકની માતા બની છે. આ તમામ સંજોગોને ધ્યાનમાં લેતા આરોપી દયાને પાત્ર જણાતા નથી. આ કેસમાં કોર્ટે ફરિયાદ પક્ષના 8 મૌખિક અને 26દસ્તાવેજી પુરાવા ધ્યાને લીધા હતા.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 8:49 am

દૂધરેજ ગામતળમાં રૂ.2.65 કરોડના ખર્ચે સી.સી. રોડ:નિર્માણ કાર્ય પૂરજોશમાં, દોઢ માસમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય

સુરેન્દ્રનગર જિલ્લાના દૂધરેજ ગામતળ વિસ્તારમાં ₹2.65 કરોડના ખર્ચે સી.સી. (સિમેન્ટ કોંક્રિટ) રોડનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ગ્રામજનોને આધુનિક અને ટકાઉ માર્ગ સુવિધા પૂરી પાડી સ્થાનિક વિકાસને વેગ આપવાનો છે. આ કામગીરી દૂધરેજ ખોડું અને વેળાવદર રોડ વચ્ચેના જોડાણને વધુ મજબૂત અને સુગમ બનાવશે, જે પરિવહન અને અવરજવર માટે અત્યંત લાભદાયી નીવડશે. આ પ્રોજેક્ટમાં મેટલિંગ, પ્લેઇન સિમેન્ટ કોંક્રિટ (PCC) અને સિમેન્ટ કોંક્રિટ (CC) રોડના નિર્માણનો સમાવેશ થાય છે. માર્ગ અને મકાન વિભાગ, સુરેન્દ્રનગર દ્વારા હાથ ધરાયેલા આ કાર્યમાં અત્યાર સુધીમાં અંદાજિત 30 થી 35 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. બાકીની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે.વિભાગ દ્વારા આગામી દોઢ માસના સમયગાળામાં સમગ્ર કામગીરી પૂર્ણ કરવાનું સઘન આયોજન કરવામાં આવ્યું છે. આ અદ્યતન માર્ગ સુવિધાથી દૂધરેજ ગામતળના રહેવાસીઓના જીવનધોરણ અને વ્યવસાયિક ગતિવિધિઓમાં સુધારો થશે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 8:46 am

નલિયા ઠંડુંગાર, સૌથી ઓછું 10.5 ડિગ્રી તાપમાન:રાજકોટમાં 12.8, વડોદરામાં 13.6, અમદાવાદમાં 14 અને ગાંધીનગરમાં 12.2 ડિગ્રી ઠંડીનો પારો રહ્યો

હવામાન વિભાગ ગઈકાલે રાજ્યના મોટાભાગના શહેરોમાં રાત્રિના અને વહેલી સવારના તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, એટલે કે ઠંડીમાં વધારો થયો છે. સૌથી ઓછું ન્યૂનતમ તાપમાન નલિયામાં 10.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ત્યારબાદ વડોદરા જ્યાં ન્યૂનતમ તાપમાન 13.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 14 ડિગ્રી અને ગાંધીનગરમાં 12.2 ડિગ્રી ન્યૂનતમ તાપમાન નોંધાયું હતું. પોરબંદરમાં 13.1 ડિગ્રી અને રાજકોટ 12.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીસમગ્ર ગુજરાતમાં સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું અને ન્યૂનતમ તાપમાન પણ સામાન્ય કરતાં નીચું રહેતા રાજ્યમાં ઠંડકનો અનુભવ વધી રહ્યો છે. જ્યારે સૌથી ઓછું ઠંડુ દ્વારકામાં ન્યૂનતમ તાપમાન 19.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને મહત્તમ તાપમાન 29.7 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. રાજ્યમાં હાલમાં બેવડી સીઝનનો અનુભવ થશે. રાજ્યમા મોટાભાગના જિલ્લાઓનું તાપમાન સામાન્ય કરતા નીચું નોંધાયું છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 8:39 am

ભાસ્કર ફોલોઅપ:મોરબીમાં 6 દી’ માં 55,213 ખેડૂતની પાક સહાય માટે‎અરજી‎ , હજુ 60 હજાર બાકી, 26મીએ છેલ્લો દિવસ‎

મોરબી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે પાકોને મોટું નુકસાન થવાથી ખેડૂતો દેવાદાર બની જાય તેવી પરિસ્થિતિમાંથી ઉગારવા સરકારે ખેડૂતો માટે ખાસ સહાય પેકેજ જાહેર કરતા આ સહાય મેળવવા માટે ખેડૂતો ફોર્મ ભરવા માટે ગ્રામ.પંચાયત કક્ષાએ વીસીઈ પાસે મોટા પ્રમાણ ધસારો કરી રહ્યા છે. આ પાક નુકસાનની સહાયની અરજીની સતાવાર વિગતો મુજબ છ દિવસમાં એટલે આજદિન સુધીમા મોરબી જિલ્લામાં સહાયની અરજીની 50 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. આ છ દિવસમાં મોરબી જિલ્લામાં કુલ 55213 અરજીઓ જમા થઈ છે અને હજુ અરજી કરવાની 28 સુધીની મુદત છે. મોરબી જિલ્લામાં માવઠાથી પાકને નુકસાન થયા બાદ સરકારે જાહેર કરેલા રાહત પેકેજ સહાય મેળવવા માટે ખેડૂતોને અરજી કરવાની તા.14થી કામગીરી શરૂ થઈ હતી. જો કે આ સહાયની અરજી કરવા માટે 7/12 અને 8-અ જેવા મહત્વના ડોક્યુમેન્ટ જરૂરી હોવાથી આ દાખલા મેળવવા ખેડૂતો બધા જ કામો પડતા મૂકી વહેલી સવારથી જ ગામડેથી જ મોરબીની ઇ-ધરા મામલતદાર કચેરીએ ધામા નાખ્યા હતા અને લાંબી લાઈનો લાગી હતી. એનું કારણ એ હતું કે સર્વર જ ડાઉન થઈ.જતા કામગીરી જ ન થવાથી ખેડૂતોને ધક્કે પે ધક્કા થયા હતા. આવા સંજોગોમાં છ દિવસમાં સહાયની અરજીઓ કરાઇ છે. તા.14થી આજ સુધીમાં હળવદમાં 10536, માળીયા મી.મા 7862, મોરબીમાં 16949, ટંકારામા 9114, વાંકાનેરમાં 10752 સહાયની અરજી ગ્રામ પંચાયતમાં વીસીઈ કક્ષાએ જમા થઈ છે. આ રીતે ફોર્મ ભરવાની કામગીરી ચાલે છેમોરબી જિલ્લા ખેતી અધિકારી ડો હસમુખ ઝીંઝુવાડિયાએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં હાલ મોટાભાગની ગ્રામ પંચાયત માં વીસીઈ દ્વારા ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે રીતે શક્ય તમામ મદદ કરી ફોર્મ ભરવામાં મદદ કરી રહ્યા છે. હાલ મોટાભાગના ગામમાં ફોર્મ ભરવાની કામગીરી સુચારુ રીતે ચાલી રહી છે સહાય પાત્ર ખેડૂતને અમારા તરફથી ફોર્મ બાબતે તમામ સહયોગ કરવાનો પ્રયાસ કરવામાં આવશે સર્વર ડાઉનનો પ્રશ્ન ઉકેલાઇ ગયાનો દાવોશરૂઆતમાં સર્વર ડાઉનનો પ્રશ્ન નડ્યો હતો. તેથી ખેડૂતોને ભારે હાલાકી પડી હતી. બે ત્રણ દિવસ આ સર્વર ડાઉનનો પ્રોબ્લેમ રહ્યો હતો. પણ હવે આ મુશ્કેલી દૂર થઈ છે. ખેડૂતોના સરળતાથી 7/12 અને 8-અ દાખલા નીકળે છે, ઓનલાઈન રીતે આરામથી અરજી થાય છે. તેથી ખેડૂતોને કોઈ તકલીફ ન હોવાનો તંત્ર દ્વારા દાવો કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 8:00 am

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વડીલો માટે ખાસ આયોજન:મોરબીમાં વૃદ્ધાશ્રમના વડીલોએ લાલો ફિલ્મ નિહાળી, રાજા રણછોડના ગીત પર ઝૂમી ઉઠ્યા

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે સ્કાય મલ્ટીપ્લેક્ષમાં ગુજરાતી મુવી લાલોના શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શો ખાસ શોભેશ્વર રોડ ઉપર આવેલા વૃદ્ધાશ્રમના વડીલો માટે હતો. અંદાજે 40 જેટલા વડીલોએ અહીં લાલો મુવી નિહાળ્યું હતું. વૃદ્ધાશ્રમના વડીલો પણ આ મુવી જોઈ આનંદ મેળવી શકે અને ભગવાન કૃષ્ણને જોઈ ભાવ રાજી થાય તેથી તેમના માટે વિશેષ મુવી શોનું આયોજન કરવામાં આવ્યું હતું. વડીલો આ મુવી જોઈને ખૂબ આનંદિત થયા હતા. મુવી પૂર્ણ થયે વડીલો રાજા રણછોડ ગીત ઉપર ગરબે પણ ઘૂમ્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 7:55 am

તેરા તુજકો અર્પણ:મિતાણા ખોડિયાર આશ્રમમાં થયેલી લૂંટનો મુદ્દામાલ ‘તેરા તુજકો’ હેઠળ મહંતને પરત કરાયો

ટંકારા| ટંકારા તાલુકાના મિતાણા હાઈવે પર આવેલા ખોડીયાર આશ્રમમાં ત્રણ મહિના પહેલાં મધરાતે બનેલી લૂંટની ઘટનામાં સંડોવાયેલા તસ્કરો પાસેથી કબજે કરાયેલ રોકડ અને સોના–ચાંદીની વસ્તુઓ ટંકારા પોલીસે કાયદાની જોગવાઈ મુજબ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ મંદિરના મહંતાને પરત કરી હતી. નોંધનીય છે કે તા.30 જુલાઈની મધરાતે ચાર તસ્કરો આશ્રમના તાળા તોડી અંદર ઘૂસી આવ્યા હતા અને મહંતા સાધ્વી રામચરણદાસ માતાજી નારણદાસજીને છરી બતાવી ડરાવી ધમકાવી દીધા હતા. તસ્કરોએ કાનમાં પહેરેલી સોનાની કડી, હાથમાં પહેરેલું ચાંદીનું કડું સહિત રોકડા સહિત કુલ રૂ.87,000ની લૂંટ ચલાવી રાતોરાત ફરાર થઈ ગયા હતા. ઘટનાની ફરીયાદ બાદ ટંકારા પોલીસે તપાસ શરૂ કરી અને આરોપીઓની ધરપકડ કરીને કુલ રૂ.55,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કબજે કરાયેલ મુદ્દામાલ ડીવાયએસપી સમીર સારડાના હસ્તે, પો.ઈ. કૃણાલ છાસીયાની હાજરીમાં ભોગ બનનાર મહંતાને પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો કાર્યક્રમ હેઠળ પરત અપાયો હતો. પોલીસે જણાવ્યું હતું કે ગુનામાં જોડાયેલા અન્ય મુદ્દામાલની પુનઃપ્રાપ્તિ માટે વધુ કાર્યવાહી ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 7:54 am

સમસ્યા નિવારણ માટે યૂથ કોંગ્રેસના પ્રમુખે કરી માગણી‎:રીબડામાં એકસાથે બે ટ્રેનનું ક્રોસિંગ હોવાથી રાજકોટ અપડાઉન કરતા મુસાફરો પરેશાન

ટ્રેનનું ક્રોસિંગ ભક્તિનગર કરવા યૂથ કોંગ્રેસના પ્રમુખે કરી માગણી ભાસ્કર ન્યૂઝ | ગોંડલ વેરાવળથી રાજકોટ જતી ટ્રેનનું ક્રોસિંગ રીબડામાં થઈ રહ્યું હતું, પરંતુ પોરબંદર તરફથી શરૂ કરાયેલી બે નવી ટ્રેનોને કારણે સવારે રીબડા સ્ટેશન પર બબ્બે ટ્રેનોનું ક્રોસિંગ થતું હોવાથી પેસેન્જરો મુશ્કેલીમાં મુકાયા હતા, આવી સ્થિતિથી અકળાયેલા મુસાફરોની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી હતી. આ સંજોગોમાં યુથ કોંગ્રેસના પ્રમુખ પ્રતિપાલસિંહ ઝાલાએ ગોંડલ રેલ્વે સ્ટેશન પર દોડી જઈ સ્ટેશન માસ્ટરને ઉગ્ર રજુઆત કરી હતી અને ઉકેલ ન મળે તો રેલરોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ઝાલાએ રજૂઆતમાં જણાવ્યું હતું કે વેરાવળથી રાજકોટ જતી ટ્રેન રોજ સવારે સાડા નવ કલાકે પહોંચે છે, પરંતુ છેલ્લા અઠવાડિયાથી શરૂ કરાયેલી રાજકોટ–પોરબંદર ટ્રેનનું ક્રોસિંગ સવારે નવ કલાકે રીબડા સ્ટેશને થઈ રહ્યું છે. તે જ સમયે રાજકોટથી વેરાવળ જતી ટ્રેનનું ક્રોસિંગ પહેલાથી જ રીબડામાં નક્કી હોવાથી બબ્બે ટ્રેનો એકસાથા ક્રોસ થવા લાગે છે. આ કારણે રાજકોટ જતા પેસેન્જરોને રીબડા સ્ટેશને અડધા થી પોણો કલાક સુધી રોકાવું પડે છે. પ્રતિપાલસિંહ ઝાલાએ માંગ કરી હતી કે આ બન્ને ટ્રેનોનું ક્રોસિંગ રીબડાની બદલે ભક્તિનગર રેલ્વે સ્ટેશને કરવામાં આવે તો મુસાફરોનો સમય બચી શકે છે અને લોકોને નોકરી–ધંધે સમયસર પહોંચવા સહયોગ મળશે. વેરાવળથી રાજકોટ જતા મુસાફરોમાં જુનાગઢ, જેતલસર, જેતપુર અને ગોંડલ વિસ્તારના મોટી સંખ્યામાં લોકો રોજ મુસાફરી કરે છે. રીબડામાં બબ્બે ટ્રેનના ક્રોસિંગને કારણે તેમની હાલત કફોડી બની રહી છે. જો વહેલી તકે ઉકેલ નહીં આવે તો રેલરોકો આંદોલન કરશે તેવી ચીમકી ઝાલાએ ઉચ્ચારી છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 7:54 am

3 યુવાનોએ ઝેર પીધું:મહિકા ગામે મચ્છુ નદીકાંઠે ખનીજ લીઝના જમીન વિવાદમાં ત્રણ યુવાનોએ ઝેરી દવા પીધી

વાંકાનેરના મહીકા ગામની સીમમાં મચ્છુ નદીના કાંઠે રેતી માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલ લીઝ વિસ્તારમાં જમીન ખાલી કરવાની દબાણભરી પરિસ્થિતિ ઊભી થઈ હતી. આ બાબતે સર્જાયેલા તણાવને પગલે આજે બપોરે ત્રણ પિતરાઈ ભાઈઓ—યશ હરિભાઈ બાંભણીયા (20), કલ્પેશ વિનોદભાઈ બાંભણીયા (23) અને વિશાલ વિનોદભાઈ બાંભણીયા (20)—એ સજોડે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ગંભીર સ્થિતિમાં ત્રણે યુવાનોને પહેલા વાંકાનેર અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસ દ્વારા ઘટના અંગે હજી ફરિયાદ નોંધાઈ નથી. મળતી માહિતી મુજબ, પંચાયતની જમીનમાં વરસોથી વેરો ભરી ખેતી કરતા આ પરિવારનો દાવો છે કે તેમની જમીન લીઝની સીમામાં આવતી બતાવી સંચાલકો દ્વારા ખાલી કરવાની માંગણી કરાઇ હતી. આ દબાણ અને તણાવથી કંટાળીને ત્રણે યુવાનોએ આ જોખમી પગલું ભર્યું હોવાનું સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું છે. પોલીસે જણાવ્યું કે ઘટના અંગે હજી સુધી કોઈ લેખિત ફરિયાદ આવનાર નથી અને જમીન વાસ્તવમાં લીઝ વિસ્તારમાં આવે છે કે કેમ, તે ફરિયાદ દાખલ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે. મામલતદારનું સ્પષ્ટ વલણ‎એકાદ મહિના પહેલાં લીઝની જમીનની સોંપણી કરવામાં આવી હતી. નદીના પટમાં દબાણ કરવામાં આવી હોય એવી વાત સાચી નથી, કેમ કે ત્યાં કોઈની માલિકીની જમીન હોય જ નહીં. > કે. વી. સાનિયા, મામતલદાર, વાંકાનેર

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 7:53 am

ગંભીર અકસ્માત:મોરબીની અણિયારી ચોકડી પાસે ટ્રેઇલર ડિવાઈડર ઉપર ચડતા પાછળથી કન્ટેનર રોડ પર પડ્યું

મોરબીની અણિયારી ચોકડી પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક કન્ટેનર ટ્રેઇલરમાંથી ધડાકાભેર નીચે પડી ગયું હતું. આ અકસ્માતને પગલે થોડીવાર માટે ટ્રાફિક જામ સર્જાયો હતો, ઘટના પ્રમાણે ટ્રેલર મધ્ય રાત્રે અણિયારી ચોકડી પાસે ડિવાઇડરની ઉપર ચડ્યું હતું. ત્યારબાદ પાછળ મૂકાયેલ કન્ટેનર અચાનક નીચે પડતાં માર્ગ પર અવરોધ ઉભો થયો હતો. ડ્રાઇવર એ ડર હતો કે કન્ટેનર નીચે કોઇ દબાઇ ગયું છે. તેથી ટ્રેલર ત્યાંથી લઈ નાસી ગયો હતો. જો કે સદનશીબે કન્ટેનર પડ્યું ત્યારે બાજુમાં કોઈ વાહન ન હોવાથી મોટી જાનહાની થતા સહેજમાં ટળી હતી. જોકે ઘટનાને લઇ ટ્રાફિક અટવાયું હતું.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 7:50 am

નીતીશ કુમાર આજે રેકોર્ડ 10મી વખત લેશે બિહારના CM પદના શપથ, PM મોદી રહેશે હાજર

Bihar CM News : જનતા દળ (યુનાઇટેડ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતીશ કુમાર આજે, ગુરુવાર, 20 નવેમ્બરના રોજ, પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં એક ભવ્ય સમારોહમાં રેકોર્ડ દસમી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ લેવા માટે તૈયાર છે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે, જે આ સમારોહના મહત્વને દર્શાવે છે. 74 વર્ષીય નેતા નીતીશ કુમારને રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન શપથ લેવડાવશે. Nitish Kumar swearing-in ceremony LIVE UPDATES : શપથ ગ્રહણ સમારોહ અને મહેમાનોની યાદી

ગુજરાત સમાચાર 20 Nov 2025 7:42 am

ખેડૂતો માટે ખાસ શિબિર:વ્યારા કેવિકેમાં પી.એમ. કિસાન યોજના અંતર્ગત ખેડૂત શિબિર, લાઈવ વેબકાસ્ટ

વ્યારા ખાતે આવેલા તાપી જિલ્લાના એકમાત્ર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (કેવિકે) ખાતે બુધવારે પી.એમ. કિસાન યોજના અંતર્ગત ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લાઈવ વેબકાસ્ટિંગનું પણ ખેડૂતોએ નિરિક્ષણ કર્યું હતું. નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. એચ.આર. શર્માના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના અધ્યક્ષ સહિત ઉચ્ચ અધિકારીઓ અને કુલ 232 ખેડૂતો ઉત્સાહભેર જોડાયા હતા. વ્યારામાં કેવિકે વડા ડૉ. સી.ડી. પંડ્યાએ મહેમાનોનું સ્વાગત કરી તાલીમના મહત્વ પર પ્રકાશ પાડી લીધો હતો. ત્યારબાદ જિલ્લા પંચાયતનાં કારોબારી સમિતિ અધ્યક્ષ એ ખેડૂતોને વિવિધ સરકારયોજનાઓ અંગે માહિતગાર કરી વધુને વધુ લાભ લેવા પ્રેરિત કર્યા હતા.વૈજ્ઞાનિકો દ્વારા અલગ–અલગ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડૉ. એચ.આર. જાદવ (પાક સંરક્ષણ) દ્વારા શિયાળુ પાકોની વૈજ્ઞાનિક ખેતી અને પ્રાકૃતિક ખેતીમાં રોગ-જીવાત નિયંત્રણ ની માહિતી આપી હતી.ડો. અર્પિત ઢોડિયા (કૃષિ વિસ્તરણ) દ્વારા પ્રાકૃતિક પેદાશોના વેચાણ વ્યવસ્થાપન અને ખેતી ખર્ચ ઘટાડવા અંગે જણાવ્યું. જ્યારે કુ. પ્રતિભા કોંકણી (ફાર્મ મેનેજર) દ્વારા ચણાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અને પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો અંગે માર્ગદર્શન આપ્યું.કાર્યક્રમના અંતે લાભાર્થી ખેડૂતોએ પી.એમ. કિસાન સમ્માન નિધિ યોજનાના લાભો અંગે પોતાના અનુભવો પણ વ્યક્ત કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન ડો. અર્પિત જે. ઢોડિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 7:41 am

પોલીસ કાર્યવાહી:વ્યારામાં 16 ભેંસ ટેમ્પો પકડાયો 10.20 લાખનો મુદ્દામાલ કબજે

વ્યારાના બાલપુર ગામની સીમમાં ભેંસોના ગેરકાયદે અને ક્રૂરતાપૂર્વક પરિવહનનો થઈ રહ્યાંની જાણ થતા વ્યારા પોલીસ દ્વારા લાકડાની આડશ મારી અંદર 16 ભેંસ ભરેલો ટેમ્પો સહિત કુલ રૂ. 10.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ચાલક ટેમ્પો મૂકી ભાગી ગયો હતો. વ્યારા પોલીસ કર્મી પોકો આનંદભાઈ ગામીતે નોંધાવેલી ફરિયાદ મુજબ, પો.સ્ટે. અમલદાર તરફથી મળેલી માહિતીના આધારે ટેમ્પો નં. GJ-26-U-6591 વ્યારા પોલીસ સ્ટેશન પર લાવવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ટેમ્પાના પાછળના ભાગે લાકડાના પાટિયા લગાવી છૂપાવી રાખેલ કુલ 16 ભેંસો મળી આવી હતી. પોલીસ જણાવ્યા મુજબ ભેંસોને ટુંકી દોરી વડે બાંધવામાં આવી હતી, તેમજ કોઈ ઘાસચારો, પાણી કે સારવારની વ્યવસ્થા નહોતી. ભેંસોની અંદાજિત કિંમત રૂ. 3,20,000 અને ટેમ્પોની કિંમત રૂ. 7,00,000 મળી કુલ રૂ. 10,20,000નો મુદ્દામાલ કબજે લેવાયો છે. ઘટનાસ્થળે ટેમ્પો મુકીને ચાલક ફરાર થઈ ગયો હતો. 112 મોબાઇલ સ્ટાફ એ.એસ.આઈ. શકેશભાઈ રમેશભાઈ, એ.એસ.આઈ. કૈલાશભાઈ ગોરખભાઈ તથા GRD જવાન નિતેશભાઈ રામસિંહભાઈએ ટેમ્પો વિશેની વિગતો આપી હતી. આ બનાવ અંગે અજાણી ઓળખ ધરાવતા ટેમ્પો ચાલક સામે પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 7:36 am

ઘઉં સડેલા નીકળી આવ્યા:રાજપીપળાના નવા ફળિયામાં કાર્ડધારકોને અપાયેલાં રેશનના ઘઉં સડેલા નીકળી આવ્યા

નર્મદા જિલ્લામાં આ મહિને ફરી ખરાબ અને સડેલા આનજ આવતા લાભાર્થીઓ એ રોષ વ્યક્ત કરી અનાજ લેવાનો બહિષ્કાર કરતા ઉહાપો મચાવ્યો હતો. અમે અપાતા નથી સરકાર ને રજૂઆત કરવાની વાત કહી દુકાનદારો પણ ગ્રાહકો સાથે ઉદ્ધત વર્તન કરતા મામલો કલેક્ટર અને મામલતદાર કચેરીએ પહોંચ્યો છે. હાલ નવેમ્બર માસ સહિતનું અનાજ સરકાર તરફથી લાભાર્થીઓ ને આપવામાં આવી રહ્યું છે. જેમાં નવા ફળીયા રાજપીપળા ખાતે આવેલ સસ્તા અનાજની દુકાન ખાતે ગ્રાહકો અનાજ લેવા પહોંચ્યા ત્યારે સડેલા, કોવાઈ ગયેલા, જીવાત પડી ગયા હોય, જાળા બાઝીગયા હોય એવા ગંદા જેને પશુઓ પણ ના ખાય એવા ઘઉં સ્થાનિક કાર્ડ ધારક શહેરીજનોને આપવામાં આવતા ગ્રાહકોમાં રોષ ફેલાયો હતો. આવા સડેલા અનાજ લેવાની લોકોએ ના પાડતા સ્થાનિક દુકાનદારે પણ ગ્રાહકો સાથે ઉધ્ધત વર્તન કર્યું હોય નવા ફળિયા ગણેશ ચોકના ભૈયા રોશનબેને મામલતદાર નાંદોદ, કલેક્ટર નર્મદા સહિત મંત્રીઓ ને પણ લેખિત રજૂઆત કરી પગલા ભરવા માંગ કરી છે . બોક્ષ : ખરાબ અનાજ પાછળ કોણ જવાબદાર ? રાજ્ય સરકારમાંથી આવતા અનાજનો જથ્થો ગુણવત્તાની ચકાસણી કર્યા બાદ જ મોકલવામાં આવે છે. જો જેતે જિલ્લામાંખરાબ ગુણવત્તાનું અનાજ કેવી રીતે આવી રહયું છે. ગોડાઉનના મેનેજર પણ જથ્થાની ચકાસણી કરતાં નહિ હોય તેવી ફરિયાદ કાર્ડધારકો કરી રહયાં છે. ગોડાઉન મેનેજર રીપોર્ટ કરે તો અનાજનો જથ્થો પાછો પણ મોકલી શકાય છે પણ એવું થઇ રહયું નથી. જવાબદારો સામે કડક કાર્યવાહીની માગણી ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 7:31 am

શહેરમાં આવા જોખમી મકાનો હયાત:14 મહિના પહેલાં જ પાલિકાએ નોટિસ આપી‎મકાન ઉતારતી વેળા ટેકો ખસતાં શ્રમિકને ઇજા‎

ભરૂચ શહેરના વેજલપુર પારસીવાડ વિસ્તારમાં જર્જરિત મકાન ઉતારતી વખતે ટેકો ખસી જવાથી કેટલોક ભાગ ધરાશાયી થયો હતો. મકાન ઉતારવાની કામગીરી કરી રહેલાં 3 શ્રમજીવીઓ પૈકી બે ખસી જતાં તેમનો બચાવ થયો હતો જયારે એકને પગમાં ઇજા થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જૂના શહેરમાં આવેલાં મોટાભાગના મકાનો જૂની ઢબના હોવાથી છાશવારે તૂટવાના બનાવો બનતાં રહે છે. દર વર્ષે નગરપાલિકા તરફથી જર્જરિત મકાનોમાં રહેતાં લોકોને ચોમાસા પહેલાં નોટિસ આપવામાં આવે છે અને મકાનો ઉતારી લેવા અથવા રીપેર કરાવી લેવા સૂચના અપાઇ છે. મંગળવારે રાત્રિના સમયે વેજલપુર પારસીવાડમાં એક મકાનને ઉતારતી વેળા ટેકો ખસી જતાં કેટલોક ભાગ ધરાશાયી થઇ ગયો હતો. ઘટના બની તે સમયે 3 શ્રમજીવીઓ કામ કરી રહયાં હતાં પણ બે શ્રમિકો દૂર હટી જતાં તેમનો બચાવ થયો હતો જયારે એકને ઇજા થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મકાન જર્જરિત હોવાથી આ રીતે ખબર પડીભરૂચમાં બે પારસીવાડ આવેલાં છે જેમાં એક કોટ પારસીવાડ અને વેજલપુર પારસીવાડ આવેલાં છે. કોટ પારસીવાડમાં થોડા મહિનાઓ પહેલાં એક મકાન ધરાશાયી થતાં નગરપાલિકાની ટીમ સર્વે કરવા માટે પહોંચી હતી. સર્વે દરમિયાન તેની બાજુમાં આવેલું મકાન પણ જોખમી જણાતાં નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસ પારસી પંચાયતે સ્વીકારી હતી. કિસ્સો - 1ઃ 9 મહિના પહેલાં નગરસેવકનું મૃત્યુ થયું હતુંભરૂચમાં જૂની ઢબના મકાનો જોખમી બની ચૂકયાં છે. શહેરના જૂમ્મા મસ્જિદ વિસ્તારમાં આવેલું બે માળનું મકાન માર્ચ મહિનામાં ધરાશાયી થયું હતું. વોર્ડ નંબર –6ના નગર સેવક વિશાલ વસાવા અને તેમના પત્ની મકાનના બીજા માળે ઉંઘી રહયાં હતાં તે સમયે મકાન તૂટી પડયું હતું. જેમાં વિશાલ વસાવાનું મોત થયું હતું જયારે તેમના પત્નીને ઇજા પહોંચી હતી. જર્જરિત મકાનના કિસ્સામાં પાલિકા શું કરી છે ?‎મુખ્ય અધિકારીએ માલિક અથવા ભોગવટો કરનારને લેખિત નોટિસ આપી શકે છે. ઈમારત અથવા તેના પર લગાડેલી હોય તેવી વસ્તુ દૂર કરી તેને સુરક્ષિત કરી શકે છે. ત્રણ દિવસની અંદર તે ઇમારતની મરામત અથવા ઉતારી લેવી પડતી હોય છે. જો મકાન માલિક કે ભાડૂઆત આ કામ ન કરે તો તેને મુખ્ય અધિકારી દૂર કરી શકે છે. મુખ્ય અધિકારી મારફતે થયેલ તમામ ખર્ચ મકાન માલિક અથવા ભાડૂઆત પાસેથી વસુલ કરવાની પાલિકાને સત્તા અપાઇ જૂના મકાનોના લાકડાઓ‎ઉધઇ અને પાણીથી નબળા‎ભરૂચ | જૂના ભરૂચ શહેરમાં મોટાભાગના મકાનો જૂની ઢબના બનેલાં છે. આ મકાનોના બાંધકામ માટે લાકડાનો સૌથી વધારે ઉપયોગ લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. લાકડાને પાણી તથા ઉધઇના કારણે નુકસાન થયું છે. અત્યાર સુધી શહેરમાં મકાનો તૂટી પડવાના જેટલા બનાવો બન્યાં છે તેના માટે લાકડાનો મોભ અથવા ટેકો તૂટવાનું કારણ સામે આવ્યું છે. લાકડાના બનેલા મકાનો ખાલી કરીને લોકો સોસાયટી વિસ્તારોમાં રહેવા જતાં રહયાં છે. તેમાં ભાડૂઆતો રહે છે. ભાડૂઆતો મકાન રીપેર કરાવતાં નથી અને મકાન માલિકને મકાન ઉપયોગમાં લેવાનું નહિ હોવાથી તેઓ પણ આળસ દાખવે છે. આના કારણે પણ જર્જરિત મકાનો ભયજનક હાલતમાં હજી ઉભા છે. ભરૂચ પાલિકાએ તાજેતરમાં કરાવેલાં સર્વેમાં 40 મકાનો હજી જર્જરીત હાલતમાં છે અને તેમાંથી માત્ર 15 જ ઉતારી લેવામાં આવ્યાં છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 7:30 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:પાણી વિનાનું પાયાનું શિક્ષણ આંગણવાડીના‎બાળકો શૌચક્રિયા માટે પણ ઘરે જવા મજબૂર‎

આદિવાસી બહુલ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ભાનાવાડી ગામે આવેલી બે આંગણવાડીઓમાં છેલ્લા કેટલાક મહિનાઓથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાતાં નાના ભૂલકાંઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે. દિવ્ય ભાસ્કરની ટીમ સ્થળની મુલાકાત લેતાં માલૂમ પડ્યું કે બંને આંગણવાડીઓના પાણીના પંપ (મોટર) ખરાબ થઈ ગયા છે અને બોરમાં ફસાઈ ગયા છે, જેના કારણે બાળકો પાણીના એક-એક ટીપાં માટે વલખાં મારી રહ્યાં છે. ખાસ કરીને, શૌચાલયમાં પાણી ન હોવાથી બાળકોને ઉપયોગ માટે ઘર સુધી જવું પડે છે, જેનાથી શિક્ષણ અને પોષણ કાર્યક્રમ પર સીધી અસર પડી રહી છે. છતા વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓ બેફિકર છે. અને ભૂલકાઓ હાલાકી વેઠવા મજબૂર બન્યા છે. આંગણવાડી - 1 : ચાર મહિનાથી પાણીનો બોર બંધ છે‎ભાણાવાડીની આંગણવાડી નં. 1માં આશરે ચાર મહિનાથી પાણીનો બોર બંધ છે, જેથી સંચાલિકા બહેનોને આસપાસના ઘરોમાંથી ડોલ વડે પાણી લાવવું પડે છે. આંગણવાડી-2 : બોરની અંદર મોટર ફસાતા પાણી બંધ‎વળી, ભાનાવાડી આંગણવાડી નં. 2નું તો દશેરાના દિવસે જ નવીન અને આધુનિક મકાનનું લોકાર્પણ કરાયું છે. પરંતુ, તેના બાજુમાં આવેલા પાણીના બોરમાં મોટર ફસાઈ જવાથી અહીં પણ પાણીની સુવિધા મળી નથી. આધુનિક સુવિધા ધરાવતું મકાન પાણીના અભાવે અર્થહીન સાબિત થયું છે. સંચાલકો બાજુની સ્કૂલોમાંથી પાઇપો દ્વારા પાણી મેળવવા મજબૂર છે. તંત્રએ કહ્યું : અમને જાણ નથી, તાત્કાલિક જોડાણ કરાશેઆ અંગે વ્યારાના સીડીપીઓ જાસ્મીનાબેન ચૌધરીએ સ્વીકાર્યું હતું કે, આંગણવાડી નં. 1માં પાણી બંધ છે તેની અમને જાણ નહોતી. તેનું તાત્કાલિક જોડાણ કરાશે.આંગણવાડી નં. 2નું મકાન એક મહિના પહેલાં જ કાર્યરત કરાયું છે. આ બંને સ્થળોએ પાણીની પડતી મુશ્કેલી અંગે તાત્કાલિક ધોરણે ધ્યાન આપીને જોડાણ કરી લેવામાં આવશે. ભૂલકાંઓના પાયાના શિક્ષણ પર માઠી અસર‎સંચાલિકા બહેનોએ જણાવ્યું કે, થોડાક ડોલ પાણી પર પીવાનું, રસોઈ, સફાઈ અને બાળકોની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવાની મુશ્કેલી વધી છે. શૌચાલયો પાણી વગર સંપૂર્ણપણે બિનઉપયોગી થઈ છે. ૩ થી ૬ વર્ષની વયના બાળકો માટે શૌચાલયના ઉપયોગ માટે વારંવાર ઘરે જવું પડતાં ઘણાં બાળકો આંગણવાડી છોડીને જતા રહે છે, જે શિક્ષણ અને પોષણ કાર્યક્રમ પર વિપરીત અસર કરે છે. પાણીની વ્યવસ્થા માટે સંચાલિકાઓનો સમય વ્યય થતાં શિક્ષણ અને સંભાળની ગુણવત્તા પણ ઘટી રહી છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 7:28 am

ભાસ્કર ઈમ્પેક્ટ:ભરૂચમાં લિંક રોડ પર ટ્રાફિકજામ‎બાદ માટી હટાવવાનું શરૂ કરાયું‎

ભરૂચમાં શ્રવણ ચોકડીથી માતરીયા તળાવ સુધી પાણીની નવી લાઇન નાખવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન લીંક રોડને વન વે જાહેર કરાયો હોવાથી ટ્રાફિકજામની સમસ્યા વિકટ બની હતી. ખાસ કરીને શહેરમાં આવવા તથા જવાના મુખ્યમાર્ગ પર ટ્રાફિકજામ થતો હોવાથી સાંજના સમયે સેંકડો વાહનચાલકો અટવાઇ રહયાં હતાં. ડીવાઇડર સહિતના બે લેનના રોડ પર એક તરફ માટીનો ઢગલો થઇ ગયો હતો. શહેરમાં વકરતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી તાત્કાલિક અસરથી માટીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી. ટ્રેકટર સહિતની મશીનરીને કામે લગાડીને રસ્તા પરની માટી હટાવી દેવામાં આવતાં હજારો શહેરીજનોને ટ્રાફિક સમસ્યામાંથી મુકિત મળી છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 7:26 am

ખાસ કેમ્પ:2002ની યાદીમાં નામ ન હોય તો શું કરવું તેની માહિતી અપાશે

ભરૂચજિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને શિક્ષણ, સમાજ કલ્યાણ, પંચાયત, પાલિકા વગેરે વિભાગોના નોડલ અધિકારીઓ સાથે બેઠકમાં કામગીરીનું સંકલન કરવામાં આવી રહયું છે. વહીવટીતંત્રની આગેવાનીમાં છૂટછવાયા વિસ્તારોમાં રહેતા જનજાતિય સમુદાય, હળપતિ, માછીમાર, મીઠાંના અગરીયામાં કામ કરતાં શ્રમિકો, ઔદ્યોગિક વિસ્તારોમાં સ્થળાંરિત લોકો, સ્લમ વિસ્તાર, થર્ડ જેન્ડર, વિચરતી - વિમુક્ત જ્ઞાતિ વગેરે જેવા સમૂહોને કરાઈ રહ્યા છે. 22મીએ શનિવાર અને 23મીએ રવિવારના રોજ વિશેષ કેમ્પ યોજવામાં આવશે. દરેક બૂથ પર સવારે 9 થી બપોરે 1 કલાક સુધી હાજર રહેશે. મતદારો આ સમય દરમિયાન બીએલઓ ની મદદથી મેપિંગ, લિન્કીંગ કરાવી શકશેજે મતદાર અથવા માતા- પિતા, દાદા-દાદીનું નામ વર્ષ 2002ની મતદારયાદીમાં ન હોય તેવા કિસ્સામાં કયા પુરાવા રજૂ કરવા તે અંગે બીએલઓ માર્ગદર્શન પણ અપાશે. ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લામાં બીએલઓ ઘરે ઘરે ફરીને ફોર્મનું વિતરણ કરી રહ્યા છે. આ કામગીરી 4 ડિસેમ્બર સુધી ચાલવાની છે. કોઇપણ મુઝવણ અંગે બીએલઓનો સંપર્ક કરી શકાય છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 7:25 am

નવી બસોનો પ્રારંભ:લુણાવાડાથી બોર્ડર વિલેજ યોજના હેઠળ બસ સેવાનો પ્રારંભ

આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ રાજ્યના સરહદી અને અંતરિયાળ આદિવાસી વિસ્તારોના વિકાસને વેગ આપવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. આ યોજનાના ભાગરૂપે, આદિવાસી વસ્તી ધરાવતા 14 જિલ્લાઓમાં રહેતા લોકોને શહેરી સુવિધાઓ સાથે જોડવા માટે નવી બસોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તાજેતરમાં પ્રધાનમંત્રીના હસ્તે 250થી વધુ નવીન બસોને લીલી ઝંડી આપીને રાજ્યની સેવામાં સમર્પિત કરાઇ હતી. આ બસો ખાસ કરી તે ગામડાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. જ્યાં પરિવહનના સાધનોની કાયમી અછત છે. આ બસો આદિવાસી વિદ્યાર્થીઓને શિક્ષણ સંસ્થાઓ સુધી પહોંચવામાં અને સ્થાનિક લોકોને આરોગ્ય સેવાઓ તથા બજાર સુધી સરળતાથી મુસાફરી કરવામાં મદદ કરશે. લુણાવાડા બસ સ્ટેશન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર, મહીસાગર જિલ્લા ભાજપા પ્રમુખ દશરથભાઈ, લુણાવાડા ડેપો મેનેજર સહિતે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. આ પહેલ આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને રોજગારની તકોને વેગ આપશે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 7:24 am

ભાસ્કર એક્સક્લૂસિવ:દોલતપુરા 5ના મોતની ઘટનામાં ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીનો રિપોર્ટ આવે તે પહેલાં 2ની ધરપકડ બાદ જામીન મુક્ત થયા

નિતુરાજસિંહ પુવાર મહીસાગર જિલ્લામાં અઢી માસ પૂર્વે થયેલી અજંતા એનર્જી પ્રા. લિ.ની ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પાંચ યુવાનોના પરિવારમાં હજુ પણ શોકનો અંધકાર છવાયેલો છે. 4 સપ્ટેમ્બરના રોજ 5ના મોતની બનેલી આ કરુણાંતિકાને અઢી માસ વીતી જવા છતાં, જિલ્લા તંત્ર દ્વારા દુર્ઘટના માટે જવાબદારોને શોધવા રચાયેલી કમિટીનો અહેવાલ હજી સુધી રજૂ કરવામાં આવ્યો નથી. તો બીજી તરફ કમિટીના રિપોર્ટના આધારે દુર્ઘટના જવાબદારો પર કાર્યવાહી કરવામાં આવશે તેવું જે તે સમયે જણાવનાર સ્થાનિક પોલીસ દ્વારા કંપનીના મેનજર અને કર્મચારીની ધરપકડ કરી જામીનપાત્ર ગુનો હોવાથી જામીન આપી છોડી મૂક્યા હતાં. ત્યારે સમગ્ર બેજવાબદારી ભરી ઘટનામાં તંત્ર દ્વારા પ્રારંભે શુરા જેવી ભુમીકા નિભાવ્યા બાદ તપાસના અંતે કુલડીમાં ગોળ ભાંગ્યો હોય તેવી ચર્ચા ચાલી રહી છે. દોલતપુરા ખાતે બનેલ ગોઝારી ઘટનામાં રાજ્યભરમાં પડઘો પડ્યો છે અજંતા એનર્જી કંપનીની બેદરકારીથી પાંચ નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો ત્યારે પાંચ લોકોના મોતની જવાબદારીમાં કંપનીના માલિક અને મોરબી દુર્ઘટનાના જવાબદાર જયસુખ પટેલનું નામ આવતા જ દોડધામ મચી હતી. જોકે ત્યારબાદ આ સમગ્ર ઘટનાની તપાસ માટે તપાસ કમિટિ બનાવવવામા઼ આવી હતી. અને તેના માટે કોણ જવાબદાર છે ? તેના રિપોર્ટ બાદ કાર્યવાહી હાથ ધરવાની હતી. પરંતુ સૌથી આશ્યર્ચ જનક વાત એ છે કે, હજુ કમિટિના અધ્યક્ષ પ્રાંત અધિકારી કહે છે હજુ રિપોર્ટ જમા કરાવ્યો નથી. તે પહેલા તો તપાસ અધિકારીએ કંપનીના મેનેજર અને સુપરવાઇઝરને દુર્ઘટના માટે જવાબદાર દર્શાવી ધરપકડ કરી લીધી હતી. અને જામીનપાત્ર ગુનો હોવાથી જામીન મુક્ત થયા હતાં. એક તરફ ઘટનાને અઢી માસ વીત્યા તપાસ કમિટીએ હજી સુધી જવાબદાર નક્કી કરી શકી નથી. ગુનામાં તપાસ થી લઈ જવાબદાર નક્કી કરવામાં કમિટી એ અત્યાર સુધીમાં શું તપાસ કરી ? તેની માહિતી ગુપ્ત રાખવામાં આવી રહી છે. પરંતુ પુરની સ્થિતિ હોવા છતાં કામ ચાલુ રાખનારા કંપનીના મલિક જયસુખ પટેલ સામે કેમ કાર્યવાહી નથી થઇ ? તેની ચર્ચાએ જોર પકડ્યુ છે. ત્યારે તંત્રની સૂચનાને અવગણી કંપની ચાલુ રાખનાર મુખ્ય માલિક સુધી તપાસનો ગાળિયો કસાશે કે કેમ તે જ મોટો સવાલ છે ઉલ્લેખનિય છે કે, કડાણા ડેમમાંથી પાણી છોડાતુ હોવા છતાં સરકારી જાહેરનામા બાદ પણ કામગીરી ચાલુ રાખવામાં આવતાં અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે રિપોર્ટ આવ્યા બાદ શુ કાર્યવાહી થાય છે તેની પર સાૈની મીટ છે. અઠવાડિયામાં રિપોર્ટ કલેક્ટરને સોંપી દઇશું આ બાબતે અગાઉ કમિટીના સભ્યોના રિપોર્ટ આવી ચૂક્યા છે પોલીસનો રિપોર્ટ બે દિવસ અગાઉ મળ્યો છે. જે હજી પોલીસ નો જે રિપોર્ટ આવ્યો છે. તે હજી જોયો નથી. પણ અઠવાડિયામાં તમામ રિપોર્ટ કલેક્ટરને સોંપી દઇશું. - ક મિટી અધ્યક્ષ પ્રાંત અધિકારી લુણાવાડા ધરપકડ કરી જામીન મુક્ત કર્યા છેઆ ઘટનામાં કંપનીના મેનેજર અને સુપરવાઈઝર ની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને જામીન લાયક ગુનો હતો એટલે જામીન મુક્ત કર્યા છે આગળની તપાસ ચાલુ છે. - ડી પી ચૂડાસમા, તપાસ અધિકારી. કંપનીના મેનેજર અને સુપરવાઇઝર સામે ગુનોપોલીસે અગાઉ આ ઘટનામા કમિટી ના રિપોર્ટ બાદ શ્રમિકોના મોત નો જવાબદાર નક્કી કરશે અને કમિટીના રિપોર્ટ બાદ પોલીસ ગુનેગારોની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરશે તેવું જણાવ્યું હતું. જ્યારે પોલીસે આ ઘટનામાં કંપનીના કર્મચારીઓને માથે પાંચ લોકોના મોતની જવાબદારી થોપી જામીન આપ્યા હોવાનું સામે આવ્યુ છે. ત્યારે ખરેખર આ ઘટનામાં જ્યારે કમિટી એ હજી રિપોર્ટ રજૂ કર્યો નથી તે પહેલા જ પોલીસે કંપનીના મેનેજર અને સુપરવાઈઝર સામે ગુનો દાખલ કેવી રીતે કર્યો અને ક્યારે ધરપકડ કરી જામીન મુક્ત કર્યા ? આ ઘટનામાં પોલીસ ને કંપનીના કર્મચારીઓની જવાબદારી છે. તેવું નક્કી કરવામાં કોણે મદદ કરી તે અંગે તર્કવિતર્ક સર્જાયું છે

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 7:19 am

વડવાનેરા ચોકમાં અસામાજિક તત્વોનો આતંક:નશાની હાલતે પથ્થરો ફેંકતા યુવકને ઈજા, સારવારમાં મોત

ભાવનગર શહેરમાં હત્યા નો સિલસિલો યથાવત રહ્યો છે. ત્રણ દિવસ અગાઉ ત્રણ શખ્સો એ વડવા નેરા ચોકમાં એક ટેમ્પા ઉપર પથ્થરમારો કર્યો હતો. જે દરમિયાન એક રાહદારી યુવકને પથ્થર માથાના ભાગે વાગી જતા ગંભીર હાલતે ખાનગી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડયો હતો જેમાં આજે યુવકનું સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે. જેની મોડી રાત્રે ત્રણ શખ્સે વિરુદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ ની તજવીજ હાથ ધરી હતી. ભાવનગર શહેરમાં રહેતા વસીમ ભાઈ ઝાકા (ઉ.વ. અંદાજે 25) ગત રવિવાર ના રોજ તેમના પત્ની ને મોટર સાઇકલ માં બેસાડી ઘર પાસે પહોંચ્યા હતા. જે દરમીયાન અદનાન બાદશાહ નામ નો શખ્સ અને બે અજાણ્યા શખ્સો નશાની હાલતે એક ટેમ્પા ઉપર પથ્થર મારો કરી આંતક ફેલાવી રહ્યા હતા જે વેળાએ પથ્થર વસીમ ભાઈ ને માથાના ભાગે વાગી જતા ગંભીર હાલતે ખાનગી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજે તેમનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવાર માં ભારે શોક ની લાગણી પ્રસરી હતી તેમજ બનાવ હત્યા માં પલટાતા નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરાઈ છે. ભાવનગર શહેરમાં એક સપ્તાહ માં પાંચ લોકોની હત્યા થતા શહેરભરમાં ભારે ચકચાર મચી છે. ભાવનગર શહેર દિન પ્રતિદિન અસામાજિક તત્વો, બૂટલેગરો, હત્યારા ઓ ખુલ્લેઆમ આંતક ફેલાવે છે પણ પોલીસ જાણે મૂક પ્રેક્ષક તરીકે હોય તેવું લોકો ને લાગી રહ્યું છે. આરોપીને અટક કરી મુક્ત કરી દેવાયો હતોગત રવિવાર ના દિવસે ત્રણેય શખ્સો નશાની હાલતે પથ્થર મારો કરી રહ્યા હતા જે દરમિયાન કોઈ જાગૃત નાગરિકે નિલમબાગ પોલીસ ને જાણ કરતા પોલીસ એ કોઈ એક શખ્સ ની અટક પણ કરી હતી જે બાદ તેનો છુટકારો પણ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 7:18 am

જાહેરનામું:ગોધરા પાસે હોટલમાં સીસીટીવી ન હોવાથી કાર્યવાહી કરાઇ

રાજ્યમાં બનતા ગુણખોરીના બનાવો અને અસમાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે ખાનગી અને જાહેર જગ્યાઓ પર સીસીટીવી કેમેરા લગાવવા માટે સરકાર દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં ખાનગી હોટેલ અને ભીડભાડવાળી જગ્યાઓ પર સીસીટીવી કેમેરા લગાવવા માટે રાજ્યના ગૃહવિભાગ ધ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ત્યારે પંચમહાલ SOG પોલીસ દ્વારા 18 નવેમ્બરે ગોધરા શહેરના વેજલપુર રોડ પર આવેલ નાયરા પેટ્રોલપંપ સામે આવેલ લક્કી નામની હોટેલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ઇબ્રાહિમ અબ્દુલ સલામ દાવલા નામના સંચાલકએ સીસીટીવી કેમેરા લગાવેલા ન હોવાનું માલુમ પડ્યું હતું. આ મામલે જાહેરનામાનો ભંગ બદલ પોલીસ દ્વારા ગોધરા શહેર બી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 7:16 am

કરંટથી ખેડૂતની મોત:જેસર તાલુકાના બીલા ગામે ઇલેક્ટ્રિક વાયરના કરંટે ખેડૂતનો ભોગ લીધો

પી.જી.વી.સી.એલ.ના તંત્રવાહકો દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કામગીરીમાં બેદરકારી રાખતા હોવાની અવાર-નવાર ફરિયાદો ઉઠતી હોય છે. લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવાની સાથે કેટલાક કિસ્સામાં અકસ્માતનો ભોગ બનતા હોય છે. જેમાં બે દિવસ તા.17ને સોમવારે સાંજના અરસામાં પી.જી.વી.સી.એલ. મહુવા ગ્રામ્ય-1 સબ ડિવિઝન નીચેના જેસર તાલુકાના બીલા ગામે ખેતીવાડી વિસ્તારમાં તૂટેલા ઇલેક્ટ્રિક વાયરના કરંટથી ખેડૂતનું મોતની ઘટના બની છે ત્યારે મૃતકના પુત્રએ વીજ કંપનીના તંત્રવાહકોએ ઘોર બેદરકારીની ફરિયાદ કરી છે. બીલા ગામે ખેતીવાડીના 11 કે.વી. માલણ ડેમ ફિડરનો રિટર્ન કંડકટરનો ઇલેક્ટ્રિક વાયર ખેડૂત નાથાભાઈ કાછડીયા પર તૂટી પડતા વાયરના કરંટથી ઘટના સ્થળે અવસાન થયું હતું. અકસ્માતના આ કિસ્સામાં પૂર્વે પણ બેથી ત્રણવાર વાયર તૂટ્યા બાદ તંત્રવાહકોને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવી ન હોવાનો મૃતકના પુત્ર જનકભાઈ કાછડીયાએ આક્ષેપ કર્યો છે. ફિડરની બે મહિના પૂર્વે મરામત કામગીરી કરાયેલીબીલા ગામે ખેતીવાડીના 11 કે.વી. માલણ ડેમ ફિડરની બે મહિના પૂર્વે મરામત કામગીરી કરાઈ હતી. ફિડરનો રિટર્ન કંડકટરનો ઇલેક્ટ્રિક વાયર આ દુર્ઘટના બની છે. > વી.બી.પાંડોર , ડેપ્યુટી એન્જીનીયર, પી.જી.વી.સી.એલ. મહુવા ગ્રામ્ય-1 સબ ડિવિઝન સૌરાષ્ટ્ર સમાચાર ઈનસાઈડજિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં હજુ અનેક પ્રશ્નો ઠેરના ઠેરGEB (ગુજરાત ઇલેક્ટ્રીસિટી બોર્ડ)ના વર્ષ-2004માં પુનઃગઠનના બાદ રાજ્યમાં વીજળીના ઉત્પાદન, સંક્રમણ અને વિતરણમાં અલગ-અલગ છ પેટા કંપની મારફતે કામગીરી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનની કામગીરી PGVCL (પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ) સંભાળી રહી છે. જોકે GEBના પુનઃગઠનના બે દાયકા બાદ પણ ભાવનગર જિલ્લાના શહેરી વિસ્તારોને બાદ કરતા ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ અનેક પ્રશ્નો ઠેરના ઠેર જેવી હાલત છે ત્યારે ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકોને GEB હોય કે PGVCL કોઈ ખાસ ફરક પડયો નથી.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 7:16 am

કાર્યવાહી:ગોધરા શહેરમાં જૂના વાહનોનું રજિસ્ટર ના નિભાવતા કાર્યવાહી

ગોધરા શહેરના કોઠી ત્રણ રસ્તા પાસે જૂના વાહનોના સ્ક્રેપની દુકાનમાં ખરીદ - વેચાણનું રજિસ્ટર ન નિભાવનાર દુકાનદારો સામે એસઓજી પોલીસે કાર્યવાહી કરી હતી. પંચમહાલ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં નીકળ્યો હતો. ત્યારે ગોધરા શહેરના કોઠી સ્ટીલ સામે આવેલી નસીબ ઓટો સ્ક્રેપ નામની જુના વાહનોના સ્પેર પાર્ટસના ભંગારની દુકાનમાં 18 નવેમ્બરના રોજ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દુકાનના સંચાલક જૂના ટુ-વ્હીલર વાહનોના સ્પેરપાર્ટ્સ ખરીદ વેચાણનું કામ કરતા હતા, જેઓ પાસે ખરીદ-વેચાણ અંગે નિભાવવાનું રજિસ્ટર માંગતા કોઈ રજિસ્ટર મળ્યું ન હતું. આમ દુકાનદાર દ્વારા રજિસ્ટર ન નિભાવીને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતો મળી આવ્યો હતો. જેને લઇને ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે જાહેરનામા ભંગ મુજબ દુકાનદાર અહેમદઅલી નિશાર અહેમદ ગાજી સામે જાહેરનામા ભંગ મુજબ ગુનો નોંધાયો હતો.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 7:15 am

પ્રેરણાદાયી પહેલ:વિદ્યાર્થી યુવાને પુરૂ પાડયું નાગરિક કર્તવ્યનું ઉદાહરણ

કોરોના કાળમાં લોહીના સંબંધો સાથે પરિવારમાં જોડાયેલા વ્યક્તિ પણ ખરા સમયે મોઢું મચકોડી જવાબદારીમાં છટકી ગયા હોય તેવા અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. જોકે આનાથી વિપરિત બહુ જાણીતી ગુજરાતી ઉક્તિ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે...ની માફક ભાવનગર શહેરના 21 વર્ષીય તબીબી વિદ્યાર્થી યુવાન કૃષાંગભાઈ ઘોરીએ દુર્લભ O-ev બ્લડ ગ્રુપના સિંગલ ડોનર પ્લેટલેટના દાતા બની વૃદ્ધ મહિલા દર્દીને નવજીવન આપ્યું છે. શહેરના કાળિયાબીડ વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં ગઈકાલે મંગળવારે 65 વર્ષીય વૃદ્ધ મહિલાને અગાઉ દોઢ વર્ષના સમયગાળામાં લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ 4 ટકા ઘટવાની સાથે 5000થી ઓછા પ્લેટલેટ કાઉન્ટથી ગંભીર પરિસ્થિતિ સાથે O-ev (ઓ નેગેટિવ) ગ્રુપના SDPની તાત્કાલિક જરૂરિયાત ઉભી થઇ હતી. જે માહિતી ભાવનગર બ્લડ ડોનર્સ એસોસિએશનને મળતા સિંગલ ડોનર પ્લેટલેટના દાતા શોધવા અથાગ પ્રયત્નો હાથ ધરાયા હતા. ભાવનગર બ્લડ ડોનર્સ એસોસિયેશન દ્વારા દુર્લભ ગણાતા O-ev બ્લડ ગ્રુપના સિંગલ ડોનર પ્લેટલેટ માટે રક્તદાતાઓનો સંપર્ક સાથે સોશિયલ મીડિયામાં સંદેશા વહેતા કર્યા હતા. ભાવનગર મેડિકલ કોલેજની વિદ્યાર્થીનીના સહયોગથી સિંગલ ડોનર પ્લેટલેટના દાતા એવમ બી.એસ.સી. માઇક્રો બાયોલોજીના વિદ્યાર્થી કૃષાંગભાઈ ઘોરીનો સંપર્ક કરાયા બાદ આજે બુધવારે સર ટી. હોસ્પિટલની બ્લડ બેંકમાં જટિલ પ્રક્રિયા સાથે પ્લેટલેટનું સ્વૈચ્છિક દાન મેળવી જરૂરિયાતમંદ વૃદ્ધ મહિલા દર્દી સુધી પહોંચતું કરવામાં આવ્યુ હતું. ભાવનગર સરકારી મેડિકલ કોલેજ અને સર ટી. હોસ્પિટલ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે સંગઠીત કરાયેલ ભાવનગર બ્લડ ડોનર્સ એસોસિયેશન દ્વારા આ બીજા કિસ્સામાં સિંગલ ડોનર પ્લેટલેટના દાતા થકી દર્દીને નવ જીવન મળ્યું છે. સૌરાષ્ટ્ર સમાચાર નોલેજરૂટિન બ્લ્ડ ડોનેશન કરતા SDP ખૂબજ જટિલ !રાબેતા મુજબના રક્તદાન કરતા ડેન્ગ્યુ વાઇરસ પોઝિટિવ ફીવરથી થતા ઓછા પ્લેટલેટ કાઉન્ટમાં સિંગલ ડોનર પ્લેટલેટ (SDP)ની જરૂરિયાત ઉભી હોય છે. SDP ડોનેશન એક લાઇવ બ્લ્ડ ડોનેશનની પ્રક્રિયા રૂટિન બ્લ્ડ ડોનેશન કરતા ખૂબ જ જટિલ અને પ્રમાણમાં થોડી વધુ કાળજી સાથેની બ્લ્ડ ડોનેશન પ્રક્રિયા છે. જેમાં ડોનરના જરૂરી બ્લડ રિપોર્ટ અને ક્રોસ મેચિંગ, બ્લ્ડ કલેક્શન, પ્લેટલેટ સેપ્રેશન, વધેલ બ્લડ રિટર્ન અને પ્લેટલેટ સ્ટોરેજ એમ પ્લેટલેટ ફેરેસીસની પ્રક્રિયામાં 3 કલાક થાય છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 7:13 am

વીજચોરી:ઉખરલામાં રૂ.1.96 લાખની વીજચોરી

ભાવનગર પી.જી.વી.સી.એલ. સર્કલ નીચેના ભાવનગર શહેર વિભાગ-2 ડિવિઝન નીચેના વિસ્તારમાં ગઈકાલે તા.18મી મંગળવારે વીજચોરી પકડવા અંગેની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ભાવનગર શહેર વિભાગ-2 ડિવિઝન કક્ષાની ડ્રાઈવમાં મામસા સબ ડિવિઝન નીચેના ઉખરલા ગામે વીજ ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ઉખરલા ગામમાં વીજ ચેકિંગની કાર્યવાહીમાં 126 રહેણાકી વીજ જોડાણની તપાસમાં 18 જોડાણમાંથી રૂ.1.96 લાખની વીજચોરી પકડી પડાઇ હતી.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 7:12 am

મામલતદારને અપાયું આવેદન:ખોડવદરીમાં કન્ટ્રકશનમાં થતા બોમ્બ વિસ્ફોટ તેમજ પ્રદૂષણથી નુકશાન

ગારિયાધાર તાલુકાના ખોડવદરી ખાતે કન્ટ્રક્શનમાં પથ્થર તોડવા (ખાણ) માટે બોમ્બ વિસ્ફોટ કરવામાં આવે છે. ગત તા.14.4.25 ના મોટો બોમ્બ વિસ્ફોટ કરેલ છે જેના કારણે ખોડવદરી ગામના લોકોના કાચા કે પાકા મકાનો ધ્રુજાવી દે છે. તેમજ હાલમાં તેમના મકાનમાં દિવાલમાં તિરાડ પડેલ છે. જેથી હાલ વિસ્ફોટ કરતાં ઈસમો સામે કાયદેસર કાર્યવાહી કરવા ખોડવદરી ગામના ગ્રામજનોએ મામલતદારને આયોજનપત્ર પાઠવ્યુ છે. આ વિસ્ફોટના કારણે ગામના ખેડૂતોને ખેતીના પાકમાં ખૂબ જ નુકસાન થાય છે અને આ ખેડૂતોને જ્યાં ગાડા ચલાવવાનો માર્ગ છે ત્યાં બિન કાયદેસર રીતે ડમ્પર ચલાવે છે. આ વિસ્ફોટના લીધે ગામના પીવાલાયક પાણીમાં પ્રદૂષણ થાય છે તેમજ અંદર રહેલા પાણીના તળ ઊંડા ચાલ્યા જાય છે. ગત તા.24.9.25 ના ગ્રામજનોએ આ બાબતે મામલતદારને આવેદનપત્ર આપેલ હોવા છતાં ખોડવદરી ગામ ખાતે આવેલ કન્સ્ટ્રકશનો દ્વારા કોઈ નિરાકરણ કરવામાં આવેલ નથી,વિસ્ફોટોને ફોડતા બંધ કરેલ નથી. આ બાબતે ગ્રામજનોએ અવાર નવાર ખાણ ખનીજ વિભાગ ભાવનગર ખાતે જાણ કરેલ હોવા છતાં તેમના દ્વારા યોગ્ય તપાસ થયેલ નથી. કન્ટ્રક્શન પર કાયદેસર કાર્યવાહી કરેલ નથી.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 7:11 am

વીજકાપ:મોટીધરાઈ 66 KV સબ સ્ટેશન હેઠળના વલભીપુરના 21 ગામોમાં આજે વીજકાપ

વરતેજ જેટકો એસેટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા વલભીપુર તાલુકા ખાતેના મોટીધરાઈ 66 કે.વી. સબ સ્ટેશનમાં આવતીકાલે તા.20મી નવેમ્બર-2025ને ગુરૂવારે મરામત કામગીરી હાથ ધરવામાં આવનાર છે. મોટીધરાઈ 66 કે.વી. સબ સ્ટેશનની મરામતની કામગીરી અંતર્ગત વલભીપુર પી.જી.વી.સી.એલ. સબ ડિવિઝન નીચેના વલભીપુર, ભાવનગર અને ધંધુકા તાલુકાના 21 ગામોમાં સવારે 7 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. જેટકોની મરામતની કામગીરી અંતર્ગત મોટીધરાઈ 66 કે.વી. સબ સ્ટેશનમાંથી નીકળતા 11 કે.વી.ના 4 જ્યોતિગ્રામ અને 2 ખેતીવાડી ફીડર મળી કુલ 6 ફીડરમાં વીજકાપ લદાયો છે. મોટીધરાઈ 66 કે.વી. સબ સ્ટેશનમાં મરામત કામગીરીથી રતનપર અને ભોરણીયા ખેતીવાડી ફીડર બંધ રહેશે. ઉપરાંત રંગપર જ્યોતિગ્રામ નીચેના ભોરણીયા, ભોજપરા, મુલધરાઈ, રંગપર અને જલાલપર તથા અધેળાઈ જ્યોતિગ્રામ નીચેના અધેળાઇ, બાવળીયાળી, ઝુંડ અને જસવંતપુરામાં વીજકાપ લદાયો છે. તેમજ મોટીધરાઈ 66 કે.વી. સબ સ્ટેશનમાંથી નીકળતા વેળાવદર જ્યોતિગ્રામ ફીડર નીચેના વેળાવદર, રાજગઢ, કાનાતળાવ એન ગાંગાવાડા તથા મોણપુર જ્યોતિગ્રામ નીચેના મોટીધરાઈ, મેવાસા, રતનપર(ગા), ઇટાલિયા, શાહપુર, નવાગામ(ગા), મોણપર અને પિપરિયામાં પણ મરામત કામગીરીના સમય દરમિયાન વીજ પુરવઠો બંધ રહેશે. જેટકો દ્વારા મરામત કામ પૂર્ણ થયે કોઈ પણ પ્રકારની જાણ વગર વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 7:10 am

મારામારીનો મામલો:જસપરા ગામે ત્રણ હજાર પરત માંગતા છ શખ્સો સામસામે બાખડ્યા, ત્રણને ઇજા

ભાવનગરના તળાજા તાલુકાના જસપરા ગામે ગત મોડી સાંજના સુમારે એક યુવક પાસે ત્રણ હજાર રૂપિયા પરત માંગતા મહિલા સહિત છ શખ્સો સામસામી બાખડી પડ્યા હતા અને ગંભીર મારમારીમાં ત્રણ લોકોને ઇજા થતાં ભાવનગર સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તળાજા પોલીસ મથકમાં બંન્ને પક્ષો એ સામસામી ફરિયાદમાં છ શખ્સોના નામ લખાવતા તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તળાજાના જસપરા ગામે રહેતા પૃથ્વીરાજસિંહ કનકસિંહ ગોહિલએ ગામમાં રહેતા બટુકભાઇ પંડ્યા પાસેથી બસો રૂપિયા તેમજ હર્બલ લાઇફ કંપનીના પાર્સલના રૂા. 2800 મળી કુલ ત્રણ હજાર રૂપિયા બાકી રાખેલ. જે મામલે ગઇકાલે પૃથ્વીરાજસિંહ કનકસિંહ ગોહિલ બટુકભાઇ પંડ્યાની દુકાન પાસેથી પસાર થતા હતા તે વેળાએ બટુકભાઇએ બાકીના રૂા. 3000 પરત માંગતા બંન્ને વચાળે મામલો બીચક્યો હતો અને બોલાચાલી થઇ હતી અને બાદમાં ક્રિષ બટુકભાઇ પંડ્યા, બટુકભાઇ પંડ્યા અને બટુકભાઇના પત્નિ અને સામા પક્ષે પૃથ્વીરાજસિંહ કનકસિંહ ગોહિલ, નરવીણસિંહ ઉર્ફે પીન્ટુ પ્રવિણસિંહ અને જયપાલસિંહ કનકસિંહ ગોહિલ વચાળે ગંભીર મારમારી સર્જાવા પામી હતી. જેમાં પૃથ્વીરાજસિંહ, ક્રિષ બટુકભાઇ પંડ્યા અને બટુકભાઇ પંડ્યાને ગંભીર ઇજા થતાં સર ટી. હોસ્પિટલ ભાવનગર ખાતે ખસેડાયા હતા જ્યાં બંન્ને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ તળાજા પોલીસ મથકમાં નોંધાવા પામતા પોલીસે મહિલા સહિત છ શખ્સો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 7:10 am

વ્યાજખોરે પઠાણી કરી ઉઘરાણી:વ્યાજખોરે પશુના ખોળ ખરીદીના ખોટા બિલો બનાવી રૂપિયા 5.30 લાખનો ચેક બાઉન્સ કરાવ્યો

સિહોર ખાતે ઇંટોના ભઠ્ઠામાં મજુરી કરતા શ્રમિકે ઇંટોના ભઠ્ઠાના માલિક પાસેથી ત્રણ લાખ રૂપિયા વ્યાજે લીધા બાદ વ્યાજના તેમજ મુદ્દલ ચુકવી આપ્યા છતાં પણ રૂા. સાડા છ લાખ જેટલા રૂપીયાની પઠાણી ઉઘરાણી કરી, ગાળો આપી, વ્યાખોરે તેના ભાઇ સાથે મળી ખોળ કપાસીયાના ખોટા બીલો બનાવી, મજુરના નામે ખરીદી બતાવી રૂા. પાંચ લાખથી વધુનો ચેક બેન્કમાં જમા કરાવી બાઉન્સ કરાવ્યો હતો. જે મામલે સિહોર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આણંદના સુજીત્રા ગામે રહેતા અને સિહોરના ગ્રામ્ય પંથકોમાં ઇંટોના ભઠ્ઠાની મજુરી કરતા જીતેન્દ્રભાઇ હેરાજીભાઇ વણઝારાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સિહોરના નેસડા ગામે રહેતા અને ઇંટોના ભઠ્ઠાના માલિક અને વ્યાજખોર નરેશભાઇ ધિરૂભાઇ ડાંગરના ભઠ્ઠામાં મજુરીએ આવ્યા હતા. જે દરમિયાન જીતેન્દ્રભાઇને રૂપિયાની જરૂર પડતાં રૂા. 3 લાખ પાંચ ટકાના દરે વ્યાજે લીધા હતા. જે બાદ થોડાક વર્ષો સુધી વ્યાજ સહિત મુદ્દલ રકમ પરત કરવા છતાં પણ વ્યાજખોર નરેશભાઇ ડાંગરે રૂા. 6.50 લાખની માંગણી કરી હતી અને બળજબરી કરી, ધમકાવી, જીતેન્દ્રભાઇ પાસેથી બેન્ક ઓફ બરોડાનો ચેક પડાવી લીધો હતો અને ત્યાર બાદ પણ વ્યાજખોરે સોજીત્રા પોલીસને ફરિયાદીના ઘરે મોકલી, ત્રાસ આપ્યો હતો. વ્યાજખોરે કાવતરૂ રચી તેનો ભાઇ મહેશભાઇ ધિરૂભાઇ ડાંગર સાથે મળી ફરિયાદના નામે કપાસીયા ખોળ ખરીદીના ત્રણ ખોટા રૂા. 6.30 લાખના બિલો બનાવી, ચેક બાઉન્સ કરાવી, આર્થીક, માનસિક ત્રાસ આપી સિહોર કોર્ટમાં કેસ દાખલ કરી હેરાન કરતા નરેશ ધિરૂભાઇ ડાંગર અને તેમનો ભાઇ મહેશ ધિરૂભાઇ ડાંગર વિરૂદ્દ સિહોર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંન્ને શખ્સોની શોધખોળ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 7:09 am

ફરિયાદ નોંધાઈ:જેસરના માતલપર ગામે 20 ઘેટા બકરાની ચોરીની રાવ

જેસર તાલુકાના માતલપર ગામે વાડી વિસ્તારમાં રહેતા રણુંભાઇ ભુપતભાઇ ચાવડા પોતાના ઘરે રાત્રિના સમયે સુતા હતા અને બાજુના જોકમાં ઘેટા બકરાને બાંધેલ હતા. મોડી રાત્રીના કેટલાક શખ્સો દ્વારા જોકની જાળી તોડી વીસેક જેટલા ઘેટા બકરાની ચોરી થઇ જતાં ચકચાર મચી જવા પામી છે. આમ, માલધારીના પુશની ચોરી થઇ જતાં પોલીસ મથકમાં ફરિયાદ કરવાની વિધિ હાથ ધરાઇ હતી. વીસેક જેટલા ઘેટા બકરાની ચોરી થઇ જતાં પશુપાલકની રોજી રોટી છીનવાઇ જવા પામી છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 7:07 am

ઝુંબેશ:રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિના ગુનાના 462 આરોપીનું ચેકિંગ‎

પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ ના ગુનામાં સંડોવાયેલા 462 આરોપીઓનું ચેકિંગ અને વેરીફીકેશન કરવાની ઝુંબેશ પોલીસે હાથ ધરી છે. જેમાં પોલીસે 100 આરોપીઓનું વેરીફીકેશન કરી દેવામાં આવ્યું છે. બાકીના માટેનું ચેકીંગ ચાલુ છે. પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઇસમો સામે ચેકિંગ અને વેરિફિકેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યના પોલીસ મહાનિદેશક તથા મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય તરફથી મળેલા વિશેષ આદેશના આધારે આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પંચમહાલમાં છેલ્લા 30 વર્ષ દરમ્યાન નકલી ચલણી નોટો, નાર્કોટિક્સ, આર્મ્સ સહિત વિવિધ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સંબંધિત દાખલ થયેલા ગુનાઓના 462 આરોપીઓનું 100 કલાકની અંદર ચેકિંગ અને વેરિફિકેશન કરવાનો આદેશ આપતા જિલ્લા પોલીસે કામગીરીને વેગ આપવામાં આવ્યો છે.પંચમહાલ જિલ્લા પોલીસ અલગ અલગ પોલીસ મથકની પોલીસે અત્યાર સુધીમાં આશરે 100 જેટલા શખ્સોનું ચેકિંગ અને વેરિફિકેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. જ્યારે બાકીનાં આરોપીઓની તપાસની કામગીરી ઝડપથી ચાલુ છે. આ ઝુંબેશનો ઉદ્દેશ જિલ્લામાં શાંતિ-સુવ્યવસ્થા જાળવવા તેમજ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓન ગુના માં સંડોવાયેલા આરોપીઓ હાલ શું પ્રવુતિઓ કરે છે તેમજ ફરીથી પ્રવુતિઓ માં જોડાયા છે કે નહીં તેના માટે ચેકીંગ અને વેરીફીકેશન કરવામાં આવી રહ્યું છે. પોલીસે રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિઓના ગુનાના આરોપી નું ચેકિંગ હાથ ધર્યું.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 7:06 am

રૂબરૂ જવાની જરૂર નહીં, 8141911911 પર નોંધાશે ફરિયાદ:4 મહિનામાં ડ્રેનેજની ફોન પર 480 અને વોર્ડ ઓફિસમાં મહિને 1700 ફરિયાદ

ભાવનગર કોર્પોરેશન દ્વારા રજાકીય સેવાઓ અને સુવિધાઓમાં મુશ્કેલી પડતી હોય તો ફરિયાદ કરવા માટે પણ સુવિધા ઉભી કરી છે. ડ્રેનેજ વિભાગ દ્વારા ફરિયાદ માટે જાહેર કરેલા હેલ્પલાઇન નંબર પર છેલ્લા ચાર મહિનામાં 480 જેટલી તો માત્ર ફોનથી ફરિયાદ નોંધાઈ છે. અને મહત્તમ ફરિયાદોનું માત્ર 24 થી 48 કલાકમાં નિવારણ આવ્યું છે. કોર્પોરેશન દ્વારા હાલમાં વિવિધ સ્થળોએ ડ્રેનેજ સુધારણા તેમજ નવી ડ્રેનેજ લાઈનના કામો હાથ ધરાવામાં આવી રહ્યા છે. પ્રજાને સારી સેવા મળે તે હેતુસર ફરિયાદ નોંધવાની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી તે બાબતે પ્રચાજનો જોઈએ તેટલા જાગૃત નથી. ડ્રેનેજ વિભાગ દ્વારા જુદી જુદી ફરિયાદો જેવી કે, ડ્રેનેજ લાઈન બ્લોક થવી, ગટરનું પાણી પીવાના પાણી સાથે મિશ્ર થવું, મેનહોલ નવા બનાવવા તેમજ રીપેર કરવા, ડ્રેનેજનું પાણી રોડ અથવા ઘરમાં ભરાવુ, વરસાદી પાણીના નિકાલ અંગેની ફરિયાદ, જાહેર શૌચાલયની સફાઈ અંગેની ફરિયાદ, જાહેર શૌચાલયમાં પાણી પુરવઠો વીજળી સંબંધીત ફરિયાદ, ખુલ્લામાં સૌચક્રિયા પર પ્રતિબંધને લગતી ફરિયાદ, ખાળકુવા ઓવરફ્લોની ફરિયાદ સહિતની ફરિયાદો માટે 8141911911 તેમજ 0278- 2430256 નંબર પર સંપર્ક સાધવાનો રહેશે. મેન્યુઅલ સ્ક્વેનજર્સ એક્ટ અંતર્ગત સફાઈ કામદારોને ભૂગર્ભ ગટર અને સેપટીક ટેન્કની જોખમી સફાઈ દરમિયાન અંદર ઉત્તરવાની સખત મનાઈ ફરવામાં આવેલી છે. છતાં કોઈ તેવી કામગીરી કરવામાં આવતી હોય તો સરકાર દ્વારા 14420 નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે જેમાં ફરિયાદ નોંધાવી શકાય છે. ડ્રેનેજ વિભાગ દ્વારા જાહેર કરેલા સંપર્ક નંબર પર તો ચાર મહિનામાં 480 ફરિયાદો આવી પરંતુ સાથે સાથે 13 વોર્ડમાં રોજની સરેરાશ 60 થી 70 ફરીયાદો ડાયરેક્ટ આવી રહી છે. એટલે કે મહિને રોજની સરેરાશ 1500 થી 1700 ફરિયાદો વોર્ડ ઓફિસ પર આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 20 Nov 2025 7:05 am