ભાસ્કર બ્રેકિંગ:વસતી અને વિસ્તાર વધતાં હવે શહેરમાંત્રીજું સી'' ડિવિઝન પોલીસ મથક બનશે
રાજુ નાયકમહેસાણા શહેરમાં હાલ એ અને બી ડિવિઝન એમ બે પોલીસ મથકો કાર્યરત છે. પરંતુ, છેલ્લા કેટલાક સમયથી આ બંને પોલીસ મથકોમાં ગુનાનું પ્રમાણ, વસ્તી અને વિસ્તાર સાથે ઔદ્યોગિક એરિયામાં વધારો થતાં વધુ એ ક પોલીસ સ્ટેશનની જરૂરિયાત ઊભી થઇ છે. જેને લઈ જિલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકીએ શહેરમાં ત્રીજું સી પોલીસ સ્ટેશન બનાવવા માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલી છે. હાલ તે મંજૂરીના અંતિમ તબક્કામાં હોય 2026ના નવા વર્ષમાં શહેરની પ્રજાને વધુ એ ક પોલીસ સ્ટેશન મળશે. જેનાથી અન્ય પોલીસ સ્ટેશનની કામગીરીનું ભારણ ઘટશે ને લોકોને પણ પોલીસની સેવા ઝડપી મળતી થશે. એ ડિવિઝન તેમજ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં વસ્તી વધારો થયો છે. સાથે ઔદ્યોગિક એકમનું પ્રમાણ પણ વધ્યું છે. જેને લઇ આ બંને વિસ્તારોમાં ગુનાનું પ્રમાણ વધતું જતું હોઇ નવા પોલીસ સ્ટેશનની જરૂરિયાતને લઈ સુવિધા સર્કલ નજીક હાઇવે પર ટેબા ઉપરની જગ્યામાં નવું સી ડિવિઝન પોલીસ મથક બનાવવાની તૈયારી કરાઇ છે. સી ડિવિઝન પોલીસ મથકમાં ફતેપુરા સર્કલ, નુગર સર્કલ, શિવાલા સર્કલ અને પાલાવાસણ સર્કલ સુધી બાયપાસ હાઇવેની અંદર અને દેદિયાસણ જીઆઇડીસીના ગેટ-1 સુધીના વિસ્તારનો સમાવેશ થશે. નવા પોલીસ મથકમાં અા સોસાયટી વિસ્તાર આવશેબી ડિવિઝન પોલીસ સ્ટેશનની નાગલપુર બીટ, મોઢેરા ચાર રસ્તા પોલીસ ચોકી, ઋતુરાજ બીટ અને તાલુકા પોલીસ મથકના પીલુદરા ઓપી અને સામેત્રાનો વિસ્તારનો સમાવેશ કરવામાં આવશે. મોઢેરા ચોકડીહાઇવે પોલીસ ચોકીની મહેસાણા વિભાગ એક, બે અને ત્રણથી લઇને દેદિયાસણ જીઆઇડીસી ગેટ નંબર 1થી છેક એટલાસ ફેક્ટરી સુધી અને વીઆઈપીનગરથી સુવર્ણધામ ફ્લેટ સુધી. નાગલપુર બીટના નાગલપુર ગામથી ગુજકોમાસોલ અને બહુચરાજી જવાના રોડ સુધીની તમામ સોસાયટીઋતુરાજ બીટનો ભમરીયા નાળાથી લઇને છેક શાંતિનગર સોસાયટી સુધીનો વિસ્તાર. પીલુદરા ઓપીના ફતેપુરા અને રામોસણા ગામ. સામેત્રા ઓપીના પાંચોટ ગામ, રાધનપુર રોડ વિસ્તાર સોસાયટી, દેદિયાસણ જીઆઇડીસી સાથે, હેડુવા રાજગર, વડોસણ, પાલાવાસણા અને તે વિસ્તારની સોસાયટીઓ તેમજ સુખપુરડા ગામ. 1 PI, 8 PSI સહિત 95નો સ્ટાફ હશેસી ડિવિઝન પોલીસ મથકમાં 1 પીઆઇ, 8 પીએસઆઈ, 30એએસઆઈ, 50 વુમન સહિતના પોલીસ કોન્સ્ટેબલ અને 6 ડ્રાઇવરમળી કુલ 95 પોલીસ કર્મીઓ હશે.
મહેસાણા શહેરમાં વર્ષો જૂની ગટર અને પાણીની પાઇપ લાઇનોની જગ્યાએ નવી નાંખવાના રૂ.129 કરોડના પ્રોજેક્ટમાં એક વર્ષમાં 50 ટકા વિસ્તારમાં પાઇપલાઇન નખાઇ ગઇ છે. પરંતુ, હજુ આ વિસ્તારોને સુવિધા મળતી થવામાં એક વર્ષ લાગશે. કારણ કે, પાઇપલાઇન નખાયા પછી તે વિસ્તારમાં નવા પમ્પિંગ સ્ટેશન, સમ્પ અને ટાંકીઓ બની રહી હોઇ કામ પૂરું થયા પછી જોડાણ અપાશે. કામ પૂરું થયા બાદ આ વિસ્તારોને નર્મદાનું પૂરતું પાણી મળતું થશે અને ગટર ઉભરાવાની સમસ્યા હળવી થશે. મંગળવારે મનપામાં ધારાસભ્ય અને મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં પાઇપો નાખવા કરેલા ખોદકામ પછી કામચલાઉ પુરાણમાં ટેકરા કરવાથી વાહન ચાલકોને હાલાકી પડતી હોઇ રોડ લેવલ પુરાણ કરવા સૂચના અપાઇ હતી. શહેરમાં રૂ.85 કરોડમાં પીવાના પાણીના પ્રોજેક્ટમાં કુલ 160 કિમીમાં પાઇપલાઇન નાખવાની છે. જે પૈકી અત્યાર સુધી 90 કિમીનું કામ પૂરું થયું છે. જેમાં શોભાસણ રોડ, કસ્બા, પરા ટાવર, ગાયત્રી મંદિર રોડ, અશોકા હોટલ પાછળની સોસાયટીઓમાં લાઈન નખાઈ ગઈ છે. મેઇન હાઇવેનું કામ ચાલુ છે. ત્યાર પછી આ લાઇનોને સમ્પ અને ઓવરહેડ ટાંકીમાં જોડાણ આપવા માટે 5 ઓવરહેડ ટાંકી પૈકી સોમનાથ રોડ અને કસ્બામાં 5 લાખ લિટર ક્ષમતાની ટાંકી બની ગઇ છે. રામોસણામાં પૂર્ણતાના આરે છે. 8 પાણીના સમ્પ પૈકી સોમનાથ, કસ્બા અને રામોસણા બની ગયા છે, અમરપરામાં પમ્પિંગ સ્ટેશનનું કામ હાથ ધરાયુંશહેરમાં રૂ.44 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. જેમાં અત્યાર સુધી 17 કિમી લાઈન નખાઈ છે. શોભાસણ, ઇન્દીરાનગરની સોસાયટીઓ, તિરુપતિ સોમેશ્વર, દેલા વસાહતમાં લાઈન નખાઈ ગઈ છે. હાલ સધી માતા મંદિર પાસે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન 10 મીટર ઊંડું બનાવવા ખોદકામ ચાલી રહ્યું છે. અમરપરામાં પમ્પિંગનું પીસીસી ચાલી રહ્યું છે. આ સાથે 5 પમ્પિંગ સ્ટેશન બનશે. જ્યારે ટીબી રોડથી હયાત બીકે પમ્પિંગ સ્ટેશન સુધી રાઇઝિંગ લાઈન નખાઈ અને ત્યાંથી આગળ હાઈવે થઇ નાગલપુર એસટીપી સુધી રાઇઝિંગ લાઇન નાખવાનું કામ ચાલુ છે. આ લાઇન નખાયા પછી ગટરનું પાણી ખારી નદીમાં જતું બંધ થશે.
મહેસાણાના મોટીદાઉ સ્થિત ઉત્કર્ષ વિદ્યાલયમાં ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીને લાકડાની સોટીથી ફટકારનાર શિક્ષક નીલ પટેલને શાળા સંચાલક મંડળે રાજીનામું લઇ સસ્પેન્ડ કરી દીધો છે. તો પોલીસે શિક્ષકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. શિક્ષકે કલાસરૂમમાં વિદ્યાર્થીને સોટીથી માર મારતાં થાપાના ભાગે ઇજા થઇ હતી. જેથી શિક્ષક વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે ઉમા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષકને સસ્પેન્ડ કરી દેવાયા છે. આચાર્ય ગોવિંદભાઇ પટેલે કહ્યું કે, શિક્ષક નીલ પટેલનું રાજીનામું લેવાયું છે અને મંડળ દ્વારા સસ્પેન્ડ કરાયા છે. દરમિયાન, પોલીસે શાળાના સીસીટીવી ફૂટેજ ચકાસતાં શિક્ષક સોટી મારતો જણાય છે. પોલીસે શિક્ષકની અટકાયત કરી હતી. બીજી તરફ, જિલ્લા શિક્ષણાધિકારી બી.એન. પટેલ દ્વારા આ મામલે શાળામાં તપાસ ટીમ મોકલીને અહેવાલ લેવાયો છે. હવે સુનાવણી બાદ નિર્ણય લેવાશે.
રજૂઆત:સુરેન્દ્રનગરમાં ડાયેટ અને ચેરિટી કમિશનર ઓફિસનું કામ ગુણવત્તા વગરનું, વિજિલન્સ તપાસની માંગણી
સુરેન્દ્રનગર માર્ગ મકાન સ્ટેટ હસ્તક નિર્માણ થઈ રહેલી ડાયેટ બિલ્ડિંગ આર્ટસ કોલેજ સુરેન્દ્રનગર તેમજ ચેરિટી કમિશનર ઓફિસ બિલ્ડિંગ જલભવન પાસે બંનેમાં સુરેન્દ્રનગરના એજન્સી દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચાર અંગે આક્ષેપ કરી તપાસ કરાવવાની માંગ સાથે લેખિત રજૂઆત કરાઈ હતી. જોરાવરનગરમાં રહેતા કાળુભાઈ સીંધાભાઈ રાઠોડ નામના નાગરિકે કલેક્ટર તથા ધારાસભ્ય અને મુખ્યમંત્રી સહિતને લેકિત રજૂઆત કરી હતી કે સુરેન્દ્રનગગર માર્ગ મકાન સ્ટેટ દ્વારા ડાયેટ બિલ્ડિંગ આર્ટસ કોલેજ સુરેન્દ્રનગર તેમજ ચેરિટી કમિશનર ઓફિસ બિલ્ડિંગ જલભવન પાસે બંને કામ છેલ્લા 3 વર્ષથી ચાલુ છે તેમજ તે કામમાં હાલમાં જ 3 માસ પહેલા કોલમ તેમજ સ્લેબ ભરવાનું કામ કરવામા આવેલ છે. તે બન્ને કામમાં માર્ગ મકાન ડિઝાઈન સર્કલ દ્વારા આપવામાં આવેલ ડ્રોઇંગ મુજબ કોલમની ભૂકંપ પ્રુફ રીંગો નાંખવામાં આવેલ નથી તેમજ બન્ને કામમાં ડીઝાઈન સર્કલ દ્વારા આપવમાં આવેલ આરસીસી ડ્રોઇંગના જથ્થા કરતા વધારે લોખંડ બાંધવાનું માપ માપપોથીમાં લખીને ચૂકવણું કરીને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામા આવેલ છે. તેમજ તે કામની સમય મર્યાદા 1 વર્ષની હોવા છતાં માર્ગ મકાનના અધિકારીઓ દ્વારા કોઈ જ નોટીસ આપવામાં આવેલ નથી. આથી આ અંગે વિજિલન્સ તપાસ કરાય તેવી લેખિત રજૂઆત કરાઈ હતી. બાંધકામની ગુણવત્તા અંગે ટેસ્ટ રિપોર્ટ કરાવ્યા પછી જ બિલ ચૂકવાય છેઆ અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે કચેરી દ્વારા ચાલતા તમામ બાંધકામની ગુનાવતાના ટેસ્ટ કરાય છે અને તમામ ટેસ્ટ રિપોર્ટ કરાવ્યા પછી જ એજન્સીઓને બિલ ચૂકવાય છે. આ બંને કામમાં પણ ગુણવતા ચકાસણી કરાઈ છે.
ભાસ્કર ઈનસાઈડ:સુરેન્દ્રનગર યાર્ડ ચોકડી રસ્તાએ સર્કલના અભાવે વારંવાર ટ્રાફિકજામ
સુરેન્દ્રનગરથી વઢવાણ શહેર તરફ આવતા માર્કેટિંગ યાર્ડની ચોકડીએ ચારેય દિશાઓમાંથી નાના મોટા વાહનો સામસામે આવી જતા ટ્રાફિક જામ થઇ રહ્યો છે. ત્યારે આ ચાર રસ્તાએ સર્કલ બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. સુરેન્દ્રનગરથી વઢવાણ તરફનો મુખ્ય માર્ગ પર જ એપીએમસી ચોકડી આવેલી છે. આ રસ્તાથી જ જીઆઈડીસી તરફ મસમોટા વાહનો માલસામાન ભરીને જતા કે ખાલી કરીને પરત આવતા હોય છે. આંબાવાડી વિસ્તાર, જીઆડીસી કોઝવે, વઢવાણ તેમજ સુરેન્દ્રનગર તરફથી પણ વાહનો આ ચોકડીએ પસાર થાય છે. જ્યારે મોટી સંખ્યામાં પણ આ રસ્તા પર એસટી બસો પણ નીકળી રહી છે. પરંતુ આ ચાર રસ્તા ઉપર કોઇ સર્કલની સુવિધા ન હોવાથી નાના-મોટા વાહનો એકબીજા સામસામે આવી જાય છે. આ ચોકડીના માર્ગ પણ અગાઉ પણ અકસ્માતો સાથે લોકોના મોત થયાના બનાવો બની ચૂક્યા છે. આ સ્થળે સર્કલ બનાવવાની પણ અનેકવાર રજૂઆતો થઇ છે. ઠરાવ થઇ ગયો પણ સર્કલ બનતું નથીસુરેન્દ્રનગરથી વઢવાણ શહેર તરફ આવતા માર્કેટિંગ યાર્ડની ચોકડીના રસ્તા ઉપર ભૂતકાળમાં પણ અકસ્માતના બનાવોમાં લોકોએ જીવ ગુમાવ્યા છે. છતાં હજુ સુધી સર્કલ બનતું નથી. પ્રાપ્ત વિગતો મુજબ આ સર્કલનો ઠરાવ પણ થઇ ગયો છે. ત્યારે આ એપીએમસી ચાર રસ્તાએ કોઇ દુર્ઘટના બને તે પહેલા સર્કલ બનાવાય તેવી લોકમાંગ ઉઠી છે.
મારા કામની વાત:નવેમ્બરમાં રૂ. 41.28 કરોડની માફી સાથેમહિલાઓના નામે 574 દસ્તાવેજ નોંધાયા
સુરેન્દ્રનગર, વઢવાણ, લખતર, પાટડી, ચુડા, લીંબડી, મૂળી, સાયલા, ધ્રાંગધ્રા, ચોટીલા અને થાનમાં સબ રજીસ્ટ્રાર કચેરીઓનો સમાવેશ થાય છે. આ કચેરીઓમાં દિવસ દરમિયાન દસ્તાવેજી નોંધણી માટે લોકો આવે છે. બીજી તરફ જમીન ખરીદીમાં હવે મહિલાઓ પણ વધુ પ્રમાણમાં ઝંપલાવી રહી છે અને આથી હવે તેઓના નામે પણ દસ્તાવેજોની નોંધણી થઇ રહી છે. ત્યારે જિલ્લાની 11 સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં લોકોની પણ ભીડ રહે છે. બીજી તરફ મહિલાઓના નામે દસ્તાવેજ વધુ નોંધાતા મહિલાઓ ફી માફીનો લાભ લઇ રહ્યા છે. ત્યારે ગત ઓક્ટબરમાં સ્ટેમ્પ ડ્યુટીની રૂ. 9,93,35,601 અને નોંધણી ફી રૂ. 1,54,36,470ની આવક સાથે કુલ 2491 દસ્તાવેજ નોંધાયા હતા. જેમાં મહિલાના નામે 492 દસ્તાવેજો નોંધાયા હતા. મહિલાઓને માફી આપેલ દસ્તાવેજોની બજાર કિંમત રૂ. 35,25,22,172 હતી. જેમાં મહિલાઓને નોંધણી ફી માફી રૂ. 33,37,441 આપી હતી. જેની સામે 2025 નવેમ્બરમાં સ્ટેમ્પ ડ્યુટીની રૂ. 9,90,26,555 અને નોંધણી ફી રૂ. 1,47,58,850ની આવક સાથે કુલ 2748 દસ્તાવેજ નોંધાયા હતા. જેમાં મહિલાના નામે 574 દસ્તાવેજ નોંધાયા હતા. મહિલાઓને માફી આપેલ દસ્તાવેજોની બજાર કિંમત રૂ. 41,28,97,200 હતી. જેમાં મહિલાઓને નોંધણી ફી માફી રૂ. 39,56,720 આપી હતી. આમ ઓક્ટોબર કરતા નવેમ્બર માસમાં મહિલાના નામે દસ્તાવેજો નોંધાવામાં 2 ટકાનો વધારો જોવા મળ્યો હતો. દસ્તાવેજના પ્રથમ પાનાનો ફોટો અપલોડ કરવોદસ્તાવેજની નોંધણી માટે રાજ્ય સરકાર દ્વારા ગરવી વેબસાઇટ પર ઓનલાઇન એપોઇન્ટમેન્ટ શેડ્યૂલની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. https://garvi.gujara t.gov.in વેબસાઇટના Online Appointment Scheduler મેનુમાં જઇને મેળવી શકે છે. જેમાં પક્ષકારે દસ્તાવેજ રજૂ કરનારનું નામ, સરનામું, મોબાઇલ નંબર, ઇ-મેઇલ આઇડી, અવેજની રકમની એન્ટ્રી કરવાની તેમજ દસ્તાવેજના પ્રથમ પાનાનો ફોટો અપલોડ કરવાનો. પક્ષકારે પોતાની અનુકૂળતા મુજબ તારીખ અને સમયની પસંદગી કરવાની રહેશે.
ડેમ છલકાયો:ધોળીધજા ડેમ નર્મદાના નીરથી છલકાયો
સુરેન્દ્રનગર અને વઢવાણની જનતાને પાણી આપવા ધોળીધજા ડેમ બનાવવામાં આવ્યો હતો. પરંતુ ડેમ ખાલી થઇ જવાને કારણે પાણીની સમસ્યા રહેતી હતી.આવા સમયે નર્મદા કેનાલથી ડેમ ભરવામાં આવતા સુરેન્દ્રનગરના લોકોની તો પાણીની સમસ્યા હલ થઇ સાથે સાથે અહીયાથી સૌરાષ્ટ્ર અને કચ્છના ગામો સુધી પાઇપલાઇન દ્વારા નર્મદાના નીર પહોંચાડાઈ રહ્યા છે. આગળ પાણી પહોંચાડવા માટે ડેમની સપાટી 15 ફૂટ રાખવી પડે છે. ત્યારે મંગળવારે ઉપરથી નર્મદા કેનાલના પાણીની આવક વધુ થઇ જતા ભર શિયાળે ધોળીધજા ડેમ છલકાયો હતો. અંદાજે અડધો ફૂટ જેટલી સપાટીએ ડેમ ઓવર ફલો થયો હતો. બોટાદ કેનાલમાં પાણીનો ફ્લો ઘટાડતા ડેમ ઓવરફ્લો ધોળીધજા ડેમમાંથી બોટાદ કેનાલમાં પણ પાણી છોડવામાં આવે છે. બોટાદ કેનાલમાં સપ્લાય કરવામાં આવતો પાણીનો જથ્થો બંધ કરાતા ધોળીધજા ડેમની સપાટી વધી ગઇ હતી. ડેમ ઓવરફ્લો થયો હતો. અંદાજે 4 કલાક સુધી ડેમ અડધા ફૂટથી ઓછી સપાટીએ ઓવર ફ્લો થયા બાદ બોટાદ કેનાલમાં પાણીનો પ્રવાહ વધારતા ડેમ ઓવર ફલો થતા બંધ થયો હતો. ભાસ્કર ઈનસાઈડ
બિલ પોર્ટલ પર અપલોડ કરવાનું રહેશે:ખરીદ કે વાવેતર બિલ અપલોડ માટે છેલ્લો દિવસ
ભરૂચ જિલ્લામાં બાગાયત ની વિવિધ સહાયકારી યોજનાઓમાં આંબા કે જામફળ- ફળ પાક ઉત્પાદકતા વધારવા નો કાર્યક્રમ, ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીગ મટીરીયલમાં, સરગવાની ખેતીમાં, કાચા મંડપ, અર્ધ પાકા મંડપ, પાકા મંડપ, શાકભાજી પાકોમાં હાઇબ્રીડ બિયારણ, વોટર સોલ્યુબલ ખાતર માટે સહાય હેઠળ જે અરજીઓ પૂર્વમંજુર કરેલ છે. તેઓએ 17 જાન્યુઆરી સુધીમાં ખરીદી કે વાવેતર કરી બીલો પોર્ટલ પર અપલોડ કરવાનું રહેશે.
પાણીનો કાપ:ભરૂચના 22 વિસ્તારોમાં આજે વીજકાપ, 2 લાખ લોકોને પીવાનું પાણી મળશે નહિ
ભરૂચમાં બુધવારનો દિવસ શહેરીજનો માટે આફત લઇને આવી રહયો છે. બુધવારના રોજ સ્વામીનારાયણ ફીડર પર રીપેરિંગની કામગીરી કરવામાં આવશે જેના કારણે 22 વિસ્તારોમાં સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધી 6 કલાક સુધી વીજળી મળશે નહિ. 6 કલાકના વીજકાપના કારણે શહેરમાં આપવામાં આવતો પાણી પુરવઠો પણ બંધ રહેશે જેના કારણે 2 લાખથી વધારે લોકોને આજે પીવાનું પાણી મળશે નહિ. ભરૂચ શહેરના 11 કેવી સ્વામિનારાયણ ફીડ પર મહત્વ નું સમારકામ ની કામગીરી કરવામાં આવશે. જેના કારણે આ ફીડર પર આવતા વિસ્તારમાં આજે સવારે 8 વાગ્યા થી બપોરે 2 વાગ્યા દરમિયાન એટલે કે 6 કલાક વીજ પુરવઠો બંધ કરવામાં આવશે. જેના કારણે ભરૂચ શહેરમાં આવેલ તુલસી રેસીડેન્સી, મધુરમ, આકાશ દર્શન, ધનશ્રી કોમ્પ્લેક્સ, ગણેશ ટાઉનશીપ, આલ્ફા સોસાયટી, એચડીએફસી બેન્ક, આકાશદીપ, આમ્રપાલી, પંચવટી સોસાયટી, જય નારાયણ ગંગોત્રી, દીનદયાળ, અયોધ્યાનગર, શ્રીજી કૃપા, સાઇબાબા સોસાયટી, શુભમ સોસાયટી, ગંગેશ્વર પાર્ક, સરદાર શોપિંગ, જજ ક્વાર્ટર, અયોધ્યા નગર પાણીની ટાંકી, શક્તિનાથ પાણીની ટાંકી સહિત આજુબાજુના વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે. વીજ વિભાગ તરફથી કામગીરી પૂર્ણ થતાં કોઈ પણ જાણ કર્યા વિના વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે. તેમજ જે વિસ્તારમાં ચેઇન્જ ઓવર થી વીજ પુરવઠો ચાલુ કરી શકાય તેમ હશે ત્યાં વીજ પુરવઠો ચાલુ રાખવામાં આવશે. ભરૂચના અયોધ્યાનગર ખાતે આવેલાં ફીલટરેશન પ્લાન્ટ ખાતે પણ વીજળી મળવાની નહિ હોવાથી ટાંકીઓ સુધી પાણી પહોંચાડી શકાશે નહિ જેના કારણે બુધવારે શહેરમાં આપવામાં આવતો પાણી પુરવઠો બંધ રહેશે જેની અસર 2 લાખ જેટલા લોકો પર પડશે.
દે. બારીયાની ભાજપ શાસિત પાલિકામાં ખુરશી માટેની ખેંચતાણ બાદ અવિશ્વાશ દરખાસ્ત પસાર કરીને પ્રમુખને દૂર કરાયા બાદ નવા પ્રમુખ બનાવાયા હતાં. જોકે, મામલો હાઇકોર્ટ પહોંચતાં કોર્ટે પ્રમુખ પદેથી હટાવવા માટે પસાર ''અવિશ્વાસનો પ્રસ્તાવ'' હાઇકોર્ટે રદબાતલ કર્યો છે. દે. બારીયા પાલિકાની ફેબ્રુઆરી 2025માં યોજાયેલી ચૂંટણીમાં 24 સભ્યોમાંથી ભાજપના 13, કોંગ્રેસના 3 અને અપક્ષના 8 સભ્યો વિજયી થયા હતા. જેમાં ધર્મેશ કલાલ 5 માર્ચ 2025ના રોજ બહુમતી સાથે પ્રમુખપદે બિરાજમાન થયા હતા. જોકે, પાલિકામાં માત્ર સાત માસમાં જ 8 અપક્ષ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. જેને ભાજપના જ કેટલાક સભ્યોના ટેકાથી 17 ઓક્ટોબર 2025ના રોજ ઠરાવ પસાર કરી તેમને પદભ્રષ્ટ કરાયા હતા. ત્યાર બાદ ભાજપના સુધરાઇ સભ્ય નીલ સોનીને પ્રમુખ બનાવ્યા હતાં. સત્તા ગુમાવતાં ધર્મેશ કલાલે અવિશ્વાશની દરખાસ્તની પ્રક્રિયા વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં ધા નાખી હતી. હાઇકોર્ટના ન્યાયમૂર્તિ મૌના એમ. ભટ્ટે મંગળવારે અરજદાર ધર્મેશ કલાલને પ્રમુખ પદેથી હટાવવા માટે 17 ઓક્ટોબરે પસાર કરેલો ''અવિશ્વાસનો પ્રસ્તાવ'' રદબાતલ ઠેરવ્યો હતો. હાઇકોર્ટે 7 ઓક્ટોબરની રિકવિઝિશન, 13 ઓક્ટોબરની એજન્ડા નોટિસ અને 17 ઓક્ટોબર 2025ના પ્રમુખને દૂર કરવાના ઠરાવને રદબાતલ ઠેરવ્યો છે. ખાનગી પ્રતિવાદીઓની આ ઓર્ડર પર સ્ટે આપવાની વિનંતી પણ કોર્ટે ફગાવી દીધી છે. હાઇકોર્ટના ચૂકાદામાં ટાંકેલા મહત્વના મુદ્દા{ ગુજરાત પાલિકા અધિનિયમની કલમ 36 માં અવિશ્વાસની દરખાસ્ત માટે કોઈ મર્યાદા નક્કી નથી પરંતુ કોર્ટે નોંધ્યું કે લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રતિનિધિને તેનું કાર્ય કરવા માટે વાજબી સમય મળવો અનિવાર્ય છે.{ અગાઉના શિવાંગીબેન પટેલના કેસના આધારે કોર્ટે ઠેરવ્યું હતુ કે, પદ સંભાળ્યાના એક વર્ષ સુધી પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવી શકાય નહીં.{ બંધારણના 73મા અને 74મા સુધારાનો ઉદ્દેશ્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સ્થિરતા અને સાતત્ય લાવવાનો છે. જો તાત્કાલિક પ્રમુખને હટાવવામાં આવે તો આ બંધારણીય ભાવનાનું હનન થાય છે.{ ભલે કાયદામાં સ્પષ્ટ મનાઈ નથી. તેમ છતાં કોર્ટ કાયદાના ઉદ્દેશ્યો અને હેતુઓને ધ્યાનમાં રાખીને તેનું અર્થઘટન કરી શકે છે જેથી મનસ્વી નિર્ણયો અટકાવી શકાય.{ જો પ્રમુખને કામ કરવાની તક આપ્યા વિના તરત જ અવિશ્વાસની દરખાસ્ત લાવવાની છૂટ અપાય તો તે એક વીશિયસ સર્કલ શરૂ કરી શકે છે. જે લોકશાહી પ્રક્રિયા માટે નુકસાનકારક છે.{ ગુજરાત પંચાયત અધિનિયમ અને ગુજરાત નગરપાલિકા અધિનિયમમાં અવિશ્વાસની દરખાસ્ત અંગેની જોગવાઈઓ લગભગ સમાન છે. તેથી પંચાયતના કાયદામાં અપાયેલો ચુકાદો અહીં પણ લાગુ પડે છે. હુકમમાં સત્તા છોડવા લખ્યુ નથી, કલેક્ટર પાસે માર્ગદર્શન માંગ્યુ છેમાન્ય હાઇકોર્ટ દ્વારા તા. 17-10-2025ની અવિશ્વાસની દરખાસ્ત પર સ્ટે આપ્યો છે. પરંતુ હું 10-11-2025ના રોજ કલેક્ટરના એજન્ડાથી જ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રક્રિયામાં ઉમેદવારી કરી બહુમતી સભ્યોમાં કુલ 16 મત પ્રાપ્ત કરી ધર્મેશભાઇ કલાલને 8 મત મળ્યા હતા. ચૂટણી પ્રક્રિયાથી હું પ્રમુખ તરીકે કામગીરી કરી રહ્યો છું. આજે ઓર્ડર આયો છે જેનુ માર્ગદર્શન માન્ય કલેક્ટર પાસે માગ્યું છે. હુકમમાં સત્તા છોડવા કોઇ જગ્યા સ્પષ્ટ લખ્યું નથી જેથી મે સત્તા છોડી નથી. મને માર્ગદર્શન મળશે તે રીતે આગામી સમયમાં કામગીરી કરીશું. નીલ સોની, વર્તમાન પ્રમુખ
ભાસ્કર અગ્રેસર:મકાન વેચી અર્ટિગા અપાવવાની જીદ ભાઇએ મિત્રો પાસે ભાઇનું કાસળ કઢાવ્યું
સંજેલી તાલુકાના હિરોલા વિસ્તારમાં 12મી તારીખે અર્ધ બળેલી હાલતમાં મળી આવેલી કારઠના પ્રિન્સ લબાનાની લાશના કેસમાં પોલીસે ફિલ્મી કહાની જેવી હત્યાનો ભેદ ઉકેલ્યો છે. વતનનું મકાન વેચી ‘અર્ટિગા’ કાર લેવાની જીદ અને અસામાજિક જીવનશૈલીથી કંટાળીને પોતાના જ મોટા ભાઈએ મિત્રોની મદદથી નિર્મમ હત્યા કરાવ્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પ્રાપ્ત વિગતો મુજબ મૃતક પ્રિન્સ લબાનાનો ગુનાહિત ઇતિહાસ અને સ્વચ્છંદી જીવનશૈલી પરિવાર માટે લાંબા સમયથી માથાનો દુખાવો બની હતી. દાહોદ શહેરના લક્ષ્મીનગરમાં રહેતા મોટા ભાઈ અક્ષય લબાનાને પ્રિન્સ સતત વતનનું મકાન વેચી કાર અપાવવાની જીદ કરીને ઝઘડા કરતો હતો. આથી કંટાળીને અક્ષયે પ્રિન્સને જ મોતને ઘાટ ઉતારવાનો કાવતરું ઘડવામાં આવ્યું હતું. તા. 10 ડિસેમ્બરે અક્ષયે સુરતથી કાર અપાવવાની લાલચ આપી પ્રિન્સને વિશ્વાસમાં લીધો હતો. અક્ષય પોતાની અલ્ટો કારમાં પ્રિન્સ, મિત્ર મોહમ્મદ તૌસીફ શેખ, લીમડીના દીપક મોઢિયા સાથે વડોદરા ગયો જ્યાં મનિષ ખારવા પણ જોડાઇ ગયો હતો. દાહોદ તરફ પરત ફરતી વખતે રસ્તામાં પ્રિન્સ ઉંઘમાં હોઈ દીપક અને મનિષે ચાલતી ગાડીમાં જ ગળું દાબીને તેની હત્યા કરી નાખી. અક્ષય દ્વારા મિત્ર મોહમ્મદ તૌસીફ પાસે દાહોદથી દોઢ લીટર પેટ્રોલ મંગાવાયુ હતું. લાશનો નિકાલ કરવા માટે 25 કલાક સુધી લાશ કારમાં રાખી બાદમાં હિરોલા વિસ્તારમાં ફેંકી પેટ્રોલ છાંટી સળગાવી દેવામાં આવી હતી. પોલીસે મુખ્ય સૂત્રધાર અક્ષય લબાના અને મિત્ર મોહમ્મદ તૌસીફની ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. પ્રિન્સ 8 દિવસથી અર્ટિગાના સ્ટેટસ મુકતો હતોમકાન વેચીને અર્ટિગા લાવવાની જીદ પકડનાર પ્રિન્સે ઘટનાના આઠ દિવસ પહેલાંથી પોતે અર્ટિગા લાવી રહ્યો હોવાના વોટ્સએપ મેસેજ મુકવાનું શરૂ કર્યુ હતું. એટલુ જ નહીં તે જેમ-જેમ એક એક દિવસ પસાર થતો હતો તેમ- તેમ સ્ટેટસમાંથી દિવસો ઓછા કરતો હતો. જોકે,અર્ટિગા કારની જગ્યાએ તેને મોત મળ્યુ હતું.
શ્વાનોનો હુમલો:ગોધરાના દયાળ માર્ગ પર 5 રખડતા શ્વાનોનો ગાય પર જીવલેણ હુમલો
ગોધરાના દયાળ માર્ગ વિસ્તારમાં રખડતા શ્વાનોનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે. આજે સાંજના સમયે દયાળ માર્ગ પાસે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક 5 હિંસક શ્વાનોએ એક ગાય પર જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ઉત્તેજનાભર્યું વાતાવરણ સર્જાયું હતું. જોકે, ક્રિકેટ ગ્રાઉન્ડમાં હાજર સ્થાનિક યુવાનોએ સમયસૂચકતા દાખવી ગાયનો જીવ બચાવ્યો હતો. આજે સાંજના સમયે દયાળ માર્ગ પરથી એક ગાય પસાર થઈ રહી હતી. આ દરમિયાન અચાનક પાંચ જેટલા રખડતા શ્વાનોએ ગાયને ઘેરી લીધી હતી અને તેના પર તૂટી પડ્યા હતા. શ્વાનોએ ગાય પર હિંસક હુમલો કરતા ગાય લોહીલુહાણ થઈ ગઈ હતી. જીવ બચાવવા માટે ભારે દોડાદોડી કરી મૂકી હતી.ગાયની કાળજું કંપાવનારી ચીસાચીસ સાંભળીને રહીશોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ગાય દોડતી દોડતી નજીકના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઘૂસી ગઈ હતી. ગ્રાઉન્ડમાં હાજર સ્થાનિક યુવાનોનું ધ્યાન જતાં તેઓ તુરંત ગાયની વહારે દોડી આવ્યા હતા. યુવાનોએ હિંમત દાખવી શ્વાનોને પથ્થરો મારીને અને લાકડીઓ બતાવીને ત્યાંથી ભગાડ્યા હતા. યુવાનોની સમયસૂચકતાને કારણે ગાયનો જીવ બચી ગયો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, રખડતા શ્વાનોનો ત્રાસ અસહ્ય બની ગયો છે. અગાઉ પણ અનેકવાર આ શ્વાનોએ રાહદારીઓ અને વાહનચાલકો પર હુમલા કર્યા છે.પાલિકા તંત્ર દ્વારા આ બાબતે સત્વરે નક્કર કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ભાસ્કર એક્સક્લુસિવ:નો મેપિંગના 35,244 મતદારોને 19 ડિસેમ્બર બાદ નોટિસ આપશે
પ્રતિક સોનીપંચમહાલ જિલ્લામાં SIRની કામગીરીમાં ગણતરી ફોર્મ સ્વીકારીને ડિઝિટાઇઝ 100 ટકા લગભગ પુર્ણ થઇ ગઇ છે. અત્યાર સુધી નો મેપીંગના 35244 મતદાર મળ્યા છે. 19 ડિસેમ્બર બાદ નો મેપીંગ ધરાવતા મતદારને નોટીસ આપીને પુરાવા વેરીફાઇ કરી કામગીરી કરાશે. પંચમહાલ જિલ્લાની 5 વિધાનસભામાં 13,48,847 માંથી 12,25,848 મતદારોના ફોર્મ અપલોડ થયા છે. 15 ડિસમ્બર સુધી જિલ્લામાં એસઆઇઆરની કામગીરીમાં 50089 મતદારો મૃતક મળ્યા છે. તેમજ 11591 મતદારો મળી આવ્યા નથી. એસઆઇઆરમાં 53295 મતદારો અન્ય જગ્યાએ સ્થળાંતર કરી દીધેલા જાણવા મળી રહ્યું છે. જિલ્લાના ડબલ નામ વાળા 7032 મતદારોના અને 992 મતદારોએ ફોર્મમાં વિગતો ભરી નથી. જિલ્લામાં નો મેપીંગ વાળા 35244 મતદારોએ વર્ષ 2002 ની મતદાર યાદીના નામ ના હોય કે અન્ય કારણોથી પુરતી વિગતો ભરેલી નથી. આવા 35244 મતદારોએ નોટિસ મળે એટલે ફોર્મ પાછળ સૂચવેલા 13 આધાર પુરાવા પૈકી કોઇ એક પુરાવો નોટિસ આપનાર સંબંધિત કર્મચારીને આપવો પડશે. જ્યારે મૃતક, સ્થળાંતરિત, પત્તો નથી, ડુપ્લીકેટ મળી કુલ 1,22,999 (9.12 ટકા) મતદારોના નામ ડ્રાફ્ટ યાદીમાં જોવા મળશે નહીં એટલે કે રદ થશે. મતદાર સુનાવણી માટે મદદનીશનોંધણી અધિકારીની નિમણૂક થશે5 વિધાનસભામાં નો મેપિંગવાળા 35244 મતદારો પૈકીશહેરા વિધાનસભામાં 3078, મોરવા(હ)માં 2337,ગોધરામાં 10255, કાલોલમાં 7720 તથા હાલોલવિધાનસભામાં 11854 મતદારોનો સમાવેશ થાય છે.મતદાર તરીકે આધાર પુરાવા માટે નોટિસમાં તેમનેસાંભળવાની તક આપવા સુનાવણી યોજાશે. મતદારોનીસુનાવણી સમય મર્યાદામાં થઇ શકે તે માટે વિધાનસભાદીઠ, ચૂંટણી અધિકારી દ્વારા મદદનીશની નિયુક્તિ કરાશે.જે મદદનીશ રોજ 50 મતદારોને સુનાવણીમાં બોલાવશે. 1 માસનો સમય કામ માટે મળશે જે મતદારોનાં નામ 2002ની યાદી સાથે મેપિંગ થયાં નથી પણ બીએલઓને 13 પૈકીના કોઇ એક પુરાવા સાથે ફોર્મ આપેલું છે, તેમની ઘરે નોટિસ આવશે. પરંતુ તેમણે નવા પુરાવા આપવાની જરૂર નથી. બીએલઓ કે જે કર્મીને નોટિસની જવાબદારી સોંપાય તે મતદારની સહી લેશે. નો મેપિંગમાં ઘણા ખરા મતદારોએ બીએલઓને ફોર્મ સાથે આધાર પુરાવા આપેલા છે. આધાર પુરાવા નથી આપ્યા તેમને સુનાવણીમાં સક્ષમ અધિકારી સમક્ષ ઉપસ્થિત રહીને રજૂ કરવાની રહેશે. નોટિસ આપવાની શરૂઆત તા.19 પછી શરૂ થશે અને એક મહિનાનો સમયગાળો આ કામગીરી માટે મળશે.
અફરાતફરીનો માહોલ સર્જાયો:દાહોદ એપીએમસી ગેટ પાસે બે આખલાઓનું ઉગ્ર યુદ્ધ
દાહોદ એપીએમસી ગેટ વિસ્તારમાં બે આખલાઓ વચ્ચે ઉગ્ર યુદ્ધ શરૂ થતાં હડકંપ મચી ગયો હતો. રોડ પર એકબીજા પર ઝંપલાવતાં આખલાઓથી રસ્તા પરથી પસાર થતાં લોકોના જીવ તાળવે ચોટ્યા હતા. આ ઘટનાના કારણે માર્ગ પર થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો. લોકોમાં ભારે ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. આસપાસના વેપારીઓ અને સ્થાનિક નાગરિકોએ પરિસ્થિતિની ગંભીરતા સમજી કોઈ મોટી દુર્ઘટના ન બને તે હેતુથી તરત જ આગળ આવી આખલાઓને છૂટા પાડવાના પ્રયાસો શરૂ કર્યા હતા. લોકોએ આખલાઓ પર પાણી છાંટ્યું તેમજ લાકડીઓના સહારે તેમને દૂર ખદેડી અલગ કર્યા હતા.
છોટાઉદેપુર જીલ્લામાં ગેરકાયદે રેતી ખનન ખૂબ ચાલી રહ્યું છે ત્યારે ખાણ ખનિજ મૂક પ્રેક્ષક બનીને જોતું હોય તેમ ગ્રામજનો દ્વારા જનતા રેડ કરીને ગેરકાયદે ખનન ઝડપી પાડવામાં આવી રહ્યું છે. ત્યારે આજે વધુ એક વખત લોઢણના ગ્રામજનોએ ગેરકાયદે ખનન ઝડપી પાડ્યું છે. છોટાઉદેપુર જીલ્લામાં સફેદ રેતીનો કાળો કારોબાર ખૂબ ફૂલ્યો ફાલ્યો છે. ઓરસંગ નદી અને ભારજ નદીમાં ગેરકાયદે રેતી ખનન ચાલી રહ્યું છે, જેની સામે ખાણ ખનીજ વિભાગ મૂક પ્રેક્ષક બનીને જોતું હોય તેમ સ્થાનિક ગ્રામજનો દ્વારા જનતા રેડ કરવામાં આવી રહી છે. આજે પાવી જેતપુર તાલુકાના લોઢણના ગ્રામજનો દ્વારા ભારજ નદીમાં ચાલતા ગેરકાયદે રેતી ખનન પર જનતા રેડ કરવામાં આવી હતી.અને નાની રાસલી ગામની સીમમાં ચાલતા ગેરકાયદે ખનન બંધ કરાવીને બે મશીન ઝડપી પાડીને ખાણ ખનીજ વિભાગને જાણ કરીને ઘટના સ્થળે બોલાવવામાં આવી હતા.ત્યારે ખાણ ખનિજ વિભાગ દ્વારા બંને મશીનો સીઝ કરીને કરાવાની હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે છોટા ઉદેપુર જીલ્લામાં ગેરકાયદે રેતી ખનન ખૂબ જ ફૂલ્યું ફાલ્યું છે,પરંતુ ખાણ ખનિજ વિભાગ માત્ર ગ્રામજનોની રજૂઆત બાદ જ કાર્યવાહી કરી રહ્યું છે તેવું જણાઈ રહ્યું છે. બે દિવસ અગાઉ પાવી જેતપુરના રતનપુરની સીમમાં મોટી રાસલીના ગ્રામજનો દ્વારા જનતા રેડ કરીને 4 હાઈવા અને 5 મશીન ઝડપી પાડીને ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવ્યા હતા.અને બે જ દિવસમાં ફરીથી પાવી જેતપુર તાલુકાના લોઢણના ગ્રામજનો દ્વારા જનતા રેડ કરીને ગેરકાયદે ખનન ઝડપી પાડવામાં આવ્યું છે. બ્લોકની બહારથી ખોદતા મશીન પકડી લીધુ લોઢણમાં બે નંબરમાં ખોદકામ ચાલતું હતું, બ્લોકની બહાર ખોદતા હતા.અમે ગ્રામજનો બધાએ મશીન પકડી લીધું.પછી ખાણ ખનીજવાળાને ફોન કર્યો,તેઓએ અહીંયા આવીને અમારી રજૂઆત સાંભળી અને અમે મશીન સીલ કર્યા પછી અમે બહાર નીકળ્યા ત્યારે એને એવું કીધું કે તમે અમારી પ્રોપર્ટીમાં આવ્યા કહીને અમારી સાથે ઝઘડો કર્યો.અમે લગભગ 150 જેટલા લોકો હતા. > જીગ્નેશ રાઠવા, સ્થાનિક યુવક, લોઢણ જરૂર પડે તેની સામે કાયદેસર કાર્યવાહી કરશેલોઢણ ગ્રામજનોની ટેલિફોનીક ફરિયાદ મળતા તપાસ ટીમ જગ્યા ઉપર આવી હતી.જગ્યા ઉપર નાની રાસલી બ્લોક આઇની બાજુમાં સાદી રેતીનું બ્લોકની બહાર ખાણકામ થયેલું જણાઈ આવ્યું છે. સદર વિસ્તારમાં એસ્કેવેટર મશીન જોવા મળ્યા હતા.જે નાની રાસલી બ્લોક આઇ ના પ્રતિનિધિ દ્વારા નિવેદનમાં જણાવ્યા મુજબ તેમના નથી. જેથી બંને મશીન અત્યારે ટીમ દ્વારા સીઝ કરીને સુખી ગોડાઉન બોડેલી મુકાવ્યા છે.બ્લોક વિસ્તારની બહાર ખાણકામ થયેલું છે તેની સર્વેયર દ્વારા માપણી પણ કરવામાં આવેલ છે.જેની પણ સામે જરૂર પડે કાયદેસરની અથવા તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. > દશરથ ચૌધરી, માઇન્સ સુપરવાઈઝર, ખાણ ખનીજ વિભાગ, છોટા ઉદેપુર
કલેકટરના તપાસના આદેશથી ખળભળાટ:સાયકલો શ્રમિકો પાસેથી લઇ વિદ્યાર્થીનીઓને પરત સોંપાઈ
જામનગર જિલ્લામાં સરસ્વતી સાધના યોજના હેઠળ સ્કુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને નિ:શુલ્ક સાયકલના જોડીયાના સાયકલના ખાનગી વેચાણના અહેવાલ બાદ કલેકટરે તપાસના આદેશો આપીને ખાનગી વેચાણ થયેલી સાયકલો પરત મેળવીને વિદ્યાર્થીનીઓને પરત સોંપવામાં આવી છે. સરકારની સરસ્વતી સાધના યોજના અંતર્ગત હાઈસ્કુલમાં ધો-9માં અભ્યાસ કરતી એસસી, એસટી, ઓબીસી અને ઈડબલ્યુએસની વિદ્યાર્થીનીઓને નિ:શુલ્ક સાયકલો વિતરણ કરવામાં આવી હતી. જેથી વિદ્યાર્થીનીઓને સ્કુલે જવામાં તકલીફ ન પડે. પરંતુ આ સાયકલો જોડીયા તાલુકાના જશાપર ગામના પુર્વ સરપંચના પતિ વલ્લભભાઈ પનારાના ઘરેથી ખાનગી રીતે રૂ.2500માં વેંચાણ થતું હતું. જે અંગેનો અહેવાલ પ્રસિધ્ધ થતાં જ કલેકટર કેતન ઠક્કરે તપાસના આદેશ આપ્યા હતા. જેમાં ધ્રોલ એસડીએમ, સમાજ કલ્યાણ અધિકારી સહિતનાએ તપાસ હાથ ધરી હતી. તાત્કાલિક અહેવાલ કલેકટરને મોકલવામાં આવ્યો હતો. કલેકટરના આદેશ અનુસાર જે શ્રમિકોને સાયકલોનું વેચાણ થયું હતું. તે પરત મેળવવામાં આવી હતી અને જે તે વિદ્યાર્થીનીઓને સાયકલો પરત સોંપવામાં આવી હતી. હાલ તો આ પ્રકરણે જિલ્લાભરમાં ચકચાર મચાવી દીધી છે. તો ખાનગીરાહે તપાસ કરવામાં આવે તો સરકારી સાયકલોના ખાનગી વેચાણના કૌભાંડો બહાર આવે તેમ હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. જશાપરના પુર્વ સરપંચના પતિએ સાયકલોના રૂપિયા પરત આપ્યા જોડીયાના જશાપર ગામના પુર્વ સરપંચના પતિ વલ્લભભાઈ દ્વારા સાયકલોનું પરપ્રાંતિય શ્રમિકોને રૂ.2000થી 2500 સુધીમાં વેંચાણ કરવામાં આવ્યું હતું. જે સાયકલો પરત મેળવવામાં આવી હતી અને શ્રમિકોએ સાયકલના જે રૂપિયા ચુકવવામાં આવ્યા હતા. તે પુર્વ સરપંચના પતિએ પરત શ્રમિકોને રૂપિયા આપવામાં આવ્યા હતા.
દબાણ હટાવ ઝુંબેશ:40થી વધુ કાઉન્ટર-રેંકડી પથારા દૂર કરાયા
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં સતત બીજા દિવસે પણ માર્ગોને અડચણરૂપ દબાણોને દૂર કરવાની કાર્યવાહી યથાવત રાખવામાં આવી હતી. જેમાં શરૂ સેકશન, વી માર્ટ, પટેલ કોલોની, પંચવટી,લાલ બંગલા સર્કલ સહિતના વિસ્તારોને એસ્ટેટ શાખાએ આવરી લેતા 40થી વધુ રેકડીઓ, કાઉન્ટરો, પથારાઓ વગેરે દૂર કરવામાં આવ્યા હતા.મનપા દ્વારા આગામી દિવસોમાં પણ ઝુ઼બેશ યથાવત રાખવામાં આવશે. જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં માર્ગોને અડચણરૂપ દબાણોને દૂર કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જે ઝુંબેશ મંગળવારે પણ યથાવત રાખવામાં આવી હતી.જેમાં એસ્ટેટ શાખાની ટીમ દ્વારા શહેરના લાલ બંગલા સર્કલ, શરૂ સેકશન રોડ, વી માર્ટ રોડ, પટેલ કોલોની રોડ, પંચવટી રોડ સહિતના વિસ્તારોમાં જુદા જુદા સ્થળે ખડકાયેલા કાઉન્ટરો, રેકડીઓ, પથારાઓ વગેરેને દુર કરવામાં આવ્યા હતા. મનપા દ્વારા આ ઝુ઼બેશ અંતગત માર્ગોને નડતરરૂપ ખડકાયેલા જુદા જુદા ચાલીશ જેટલા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા.શહેરના માર્ગો પર સુચારૂ રીતે આવા ગમન થઇ શકે માટે જુદા જુદા વિસ્તારોમાં મનપાની એસ્ટેટ શાખા દ્વારા કાર્યવાહી કરાઇ રહી છે.જે આગામી દિવસોમાં પણ યથાવત રહેશે એમ સુત્રોએ જણાવ્યુ હતુ. મનપાની આ ખાસ ઝુંબેશના પગલે સંબંધિત વિસ્તારોમાં માર્ગો મહંદઅંશે ચોખ્ખા થયા હતાં.
વાતાવરણ:પવનનું જોર વધ્યું, ઠંડીનો પારો 14.5 ડિગ્રી નોંધાયું
જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં અડધા ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન 14.5 ડીગ્રી નોંધાયું હતું. જો કે ગત સાજ થી તેજીલા વાયરા જોર પકડ્યું હતું જેને પગલે ઠંડીમાં વધારો થયો હતો. તેજીલા વાયરા અને તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે ઠંડી વધતા મોડી રાતે અને વેહલી સવારે જામનગરના મુખ્ય માર્ગો પર સ્વયં સંચાર બંધી જેવા મળી હતી. જમ્મુ-કાશ્મીર અને હિમાચલપ્રદેશમાં હિમવર્ષાનો દોર ચાલી રહ્યો છે. પહાડી વિસ્તારોમાં થઈ રહેલ બરફવર્ષાની અસર ભારતના બીજા રાજ્યો પર પણ પડી રહી છે. હરિયાણા, પંજાબ, દિલ્હી, યુપી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સહિતના રાજ્યોમાં શિયાળાએ ગતિ પકડી લીધી છે. ત્યારે જામનગર શહેરમાં પણ ઠંડી એ જોર પકડ્યું છે. ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન 14.5 ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરાશ 20 થી કિ.મી.ની રહેવા પામી હતી. વહેલી સવારે માર્ગો પર સ્વયંમ સચાર બંધી જોવા મળી હતી.
નાતાલ:જામનગરના ખ્રિસ્તીઓના ઘરમાં ક્રિસમસ ટ્રી ફક્ત સુશોભન નહી પરંતુ પોઝિટિવીટી લાવે છે
નાતાલના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે જામનગરમાં રહેતા ખ્રિસ્તીઓના ઘરમાં નાતાલ ના તહેવારને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ ઉપરાંત તહેવારને લગતી તૈયારીઓ પણ લોકો કરી રહ્યા છે. આ તહેવારમાં ક્રિસમસ ટ્રી નું મહત્વ પણ ખૂબ જ હોય છે દરેક ખ્રિસ્તી ના ઘરમાં ક્રિસ્મસ ટ્રી જોવા મળતું હોય છે પરંતુ આ ફક્ત સુશોભન માટે નથી હોતું પરંતુ આ ઝાડને લાઈટ થી સુશોભન કરવામાં આવે છે જે ઘરમાં પોઝિટિવિટીની સાથે જ જીવનમાં પ્રકાશ આપવાનું કામ કરે છે. આ ક્રિસમસ ટ્રી ઉપર બે થલ હેમ સ્ટાર પણ લગાડવામાં આવે છે આની પાછળનો ઇતિહાસ એવો છે કે બેથલહેમ નામના સ્થળ પર ભગવાન ઈસુનો જન્મ થયો હતો ત્રણ દિશામાંથી રાજા ભગવાન ઈશુને જોવા માટે આવી રહ્યા હતા તે દરમિયાન તેમને ક્યાં જન્મ થયો છે તે સ્થળ અને રસ્તો મળી રહ્યો ન હતો ત્યારે આ સ્થળ ઉપર તારો ખૂબ જ તેજસ્વી રીતે ચમકતો હતો તે તારાને જોઈને ત્રણે દિશામાં થી આવતા રાજા ભગવાન ઈશુને જોવા પહોંચ્યા હતા. જેથી જ ક્રિસમસ ટ્રી ઉપર તારાને લગાડવામાં આવે છે. આથી આ તારાને બેથલહેમ સ્ટાર તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે પહેલી ડિસેમ્બર થી 25 તારીખ સુધી તૈયારીઓ ખ્રિસ્તીઓના ઘરમાં થતી હોય છે જેમાં તેઓ મીઠાઈ બનાવવા થી માંડીને આધ્યાત્મિક તૈયારીઓ પણ કરતા હોય છે. આશા, શાંતિ, ખુશી અને પ્રેમનું પ્રતીક મીણબત્તી છે...નાતાલ પહેલાના ચાર રવિવારે પર્પલ ત્રણ પર્પલ અને એક પિન્ક કલરની મીણબત્તી પ્રજ્વલિત કરવામાં આવે છે જેમાં પ્રથમ રવિવારે પર્પલ કલરની મીણબત્તી પ્રચલિત કરવામાં આવે છે જે આશા નું પ્રતીક હોય છે બીજા રવિવારે પણ પર્પલ કલરની મેણબત્તી પ્રજ્વલિત કરવામાં આવે છે જે શાંતિનું પ્રતીક છે ત્રીજા રવિવારે કરવામાં આવતી મીણબત્તી એ પિંક કલરની હોય છે તે ખુશીનું પ્રતીક હોય છે ત્યારે ચોથી અને છેલ્લા રવિવારે પર્પલ કલરની મીણબત્તી પ્રચલિત કરવામાં આવે છે તે ભગવાન ઈશુ પ્રત્યેનું પ્રેમનું પ્રતીક હોય છે જ્યારે 25 ડિસેમ્બર સફેદ રંગની મીણબત્તી પ્રજવલિત કરવામાં આવે છે જે ભગવાન ઈસુના જન્મનું પ્રતિક માનવામાં આવે છે તેમ ડેન્સી ખ્રિસ્તી મહિલા એ જણાવ્યું હતું.
ધર્મોત્સવ:દ્વારકાના આંગણે 32 કરોડ જાપ સાથે ચંડી મહાયજ્ઞ, 108 શિવલીંગ મહારૂદ્ર અભિષેક
યાત્રાધામ દ્વારકાના આંગણે પરમ તપસ્વી સંત આત્માનંદદાસજી મહાત્યાગી નેપાલી બાબાના આશીવાઁદથી શિવભક્ત ધારાસભ્ય પબુબા વિરમભા માણેક પરીવાર તા. 19/1થી 28/01/ 2026 દરમિયાન શ્રીમદ દેવી ભાગવત સમાહ તથા તા. 23/01 શુક્રવારથી તા. 31/01/2026 શનિવાર દરમ્યાન 32 કરોડ જાપ સાથે ચંડી મહાયક્ષનું ભવ્યાતિભવ્ય આયોજન ગૌશાળા નાગેશ્વર રોડ ખાતે કરવામાં આવ્યુ છે. આ શ્રીમદ દેવી ભાગવત સમાહ તા. 19/01/2026 સોમવારથી તા. 28/01/2026 બુધવાર દરમ્યાન બપોરે 3.30 થી 6.30 એ યોજાશે. જેમાં વ્યાસપીઠ પર પૂજય કનકેશ્વરી દેવીજી ભક્તજનોને કથાનું રસપ્રદ શૈલીમાં રસપાન કરાવશે. સાથે સાથે તા. 23/01/2026 શુક્રવારથી તા.31/01/2026 શનિવાર દરમ્યાન 32 કરોડ જાપ સાથે ચંડી મહાયક્ષનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે સવારે 9થી 1 અને બપોરે 3થી 7 દરમ્યાન યોજાશે, જેમાં 108 શિવલીંગ મહારુદ્ર અભિષેક યોજાશે. 32 કરોડ જાપ સાથે યોજાનાર ચંડી મહાયજ્ઞના મુખ્ય યજમાન પદે નિલેશભા પબુભા માણેક તથા મહારૂદ્ર અભિષેકના મુખ્ય યજમાન પદે સહદેવસિંહ પબુભા માણેક બિરાજમાન થશે. શિવભક્ત પબુભા વિરમભા માણેક તથા પરિવાર દ્વારા તમામ ભક્તજનો માટે સવારે દશથી બપોરે ચાર તથા સાંજે છથી રાત્રે અગીયાર વાગ્યા સુધી મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. ઓખામંડળના ભામાશા સ્વ વિરમભા આશાભા માણેકના પ્રેરણાસ્તોત્રથી પરમ તપસ્વી સંત આત્માનંદદાસ મહાત્યાગી નેપાળી બાબાના આશીર્વાદથી પોજાનાર શ્રીમદ દેવી ભાગવત કથા તથા ચંડી મહાયજ્ઞને સફળ બનાવવા ધારાસભ્ય પબુભા માણેક તથા સમગ્ર માણેક પરિવાર અને તેમની સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે.
મ્યુલ હન્ટ ઓપરેશન:ખાતેદારે બેંક ખાતામાં જમા 10.17 લાખની રકમ ઉપાડીને અમદાવાદ મોકલાવી, ગુનો
રાજય સરકાર દ્વારા સાયબર ફ્રોડના વધતા બનાવોને પગલે ખાસ કરી બોગસ બેન્ક ખાતાઓમાં મોટા પાયે ગેરકાયદે હેરફેર ધ્યાનમાં આવતા ખાસ મ્યુલ હન્ટ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે.જેમાં વધુ બે બોગસ ખાતાઓમાં હેરાફેરી મામલે પોલીસે જુદા જુદા ગુના નોંધ્યા છે.જેમાં શહેરના આસામીએ પોતાનું બેંક ખાતુ અમદાવાદના એક શખ્સને વાપરવા માટે આપી ઠગાઈ-છેતરપિંડીથી તે ખાતામાં જમા થયેલી રૂ.10 લાખથી વધુની રકમ અમદાવાદના શખ્સને પહોંચાડી દીધાનો ગુન્હો પોલીસે નોંધ્યો છે. જ્યારે સિકકા પોલીસે પણ બેંક ખાતામાં રૂ.4 લાખથી વધુની રકમ જમા લેવડાવી તેમાંથી કમીશન પ્રાપ્ત કર્યા પછી બાકીની રકમ જોધપુરના શખ્સને પહોંચાડી દેવા અંગે ત્રણ સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. પોલીસ સુત્રોમાંથી મળતી વિગત અનુસાર શહેરના સીટી સી પોલીસ મથકમાં વિવેક પરસોતમભાઇ સભાયા( રે. પુરૂરોષતમ એપાર્ટમેન્ટ, શિવમ સોસાયટી) ઉપરાંત રાજ ચંપાવત (રે. અમદાવાદ) તથા તપાસમાં જે ખુલે તેની સામે પોલીસ કર્મી એમ.જે.જાડેજાએ ફરીયાદ નોંધાવી છે. જેમાં આરોપીઓએ કાવતરૂ રચી વિવેકએ રાજને પોતાનુ બેન્ક ખાતુ ઉપયોગ કરવા આપી કમિશન મેળવી છેતરપિંડીથી મેળવેલ મનાતા નાણાની હેરફેર કરવાના ઇરાદાથી વિવેકના ખાતામાં રૂા. 10.17 લાખ નખાવી ખાતામાંથી ચેક, એટીએમ કે ઓનલાઇન ઉપાડી તેમજ રૂપિયા આંગડીયા મારફતે પહોચાડી સગેવગે કરી એકબીજાને મદદગારી કરી અનઓથોરાઇઝડ ટ્રાન્ઝેકશન કર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે. જયારે વધુ એક ફરીયાદમાં સિક્કામાં રહેતા મહંમદશાનવાઝ સહજાદઆલમ નામના આસામીએ પોતાનું બેંક એકાઉન્ટ રાજસ્થાનના જોધપુરમાં રહેતા વિનોદ નામના શખ્સને વાપરવા માટે આપ્યું હતું. મહંમદ શાહનવાઝ તથા વિનોદ વચ્ચે સિકકાના જ પંસુનિલ મોહનલાલ દેવડાએ સંપર્ક કરાવી આપ્યો હતો અને તે પછી શાહનવાઝના બેંક એકાઉન્ટમાં લોકો સાથે ઠગાઈ કરી વિનોદે રૂ.૪,૩૯,૧૬૭ની રકમ જમા કરાવી હતી, શાહનવાઝ તથા સુનિલે તેમાંથી કમીશન મેળવી બાકીની રકમ વિનોદ માટે સગેવગે કરી હોવાનો બનાવ પોલીસ દફતે નોંધાયો છે.જેમાં સિકકા પોલીસે શાહનવાઝ, સુનિલ તથા વિનોદ સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. ગેરકાયદે નાણાની હેરાફેરીના મામલે 21 ફરિયાદ દાખલ, 48 સામે ગુનોજામનગર સહિત રાજયભરમાં ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં ફરીયાદનો આંક 21 પર પહોચ્યો છે.જેમાં જુદા જુદા 48 આરોપીઓ સામે જે તે પોલીસ મથકમાં ગુના નોંધાયા છે.પોલીસે તમામ ગુનાઓની બારીકાઇથી તપાસ શરૂ કરી છે જેમાં મુખ્ય સુત્રધારો સુધી પહોચવા માટે પણ કવાયત શરૂ કરાઇ છે.
રાજકીય ગતિવિધિઓએ જોર પકડ્યું:ચૂંટણી આવતાં જ ભાજપ- શિંદે જૂથ અજિત પવારને બહાર રાખી રહ્યા છે
રાજ્યમાં 29 મહાપાલિકાની ચૂંટણીઓની જાહેરાત બાદ રાજકીય ગતિવિધિઓએ જોર પકડ્યું છે. કોંગ્રેસના વિધાનસભામાં નેતા વિજય વડેટ્ટીવારે મહાયુતિની રણનીતિની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું કે ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના આગામી મહાપાલિકા ચૂંટણીઓ સાથે લડશે, પરંતુ અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસને જાણીજોઈને બહાર રાખવામાં આવી રહી છે. અજિત પવારનો પક્ષ સત્તા ભોગવતી વખતે સ્વીકાર્ય છે, પરંતુ જ્યારે ચૂંટણી આવે છે, ત્યારે તેમને કોંગ્રેસના ધર્મનિરપેક્ષ મત વિભાજન માટે અલગથી ચૂંટણી લડાવવી, આ એક મહાયુતિની ચાલ છે અને લોકો બધું સમજે છે, એવો વેડેટ્ટીવારે આરોપ લગાવ્યો.મુંબઈમાં તેમણે કહ્યું કે હસન મુશરીફને કેબિનેટ મંત્રી બનાવતી વખતે ચા-નાસ્તો થાય છે, પરંતુ ચૂંટણી સમયે નવાબ મલિકનો મુદ્દો આગળ લાવીને અજિત પવારની પાર્ટીને ગઠબંધનથી દૂર રાખવામાં આવે છે. આ સ્પષ્ટપણે એકતરફી રાજકારણ છે. એકનાથ શિંદેની શિવસેના હિન્દુત્વનો મુદ્દો ઉઠાવીને ચૂંટણીની નજીક લાવવામાં આવે છે, અને અજિત પવાર મત વિભાજીત કરવા માટે અલગથી લડી રહ્યા છે, આ મહાયુતિનું રાજકારણ છુપાયેલું નથી, એમ તેમણે કહ્યું. તેમણે એવી પણ ટીકા કરી હતી કે, ભાજપ હિન્દુ-મુસ્લિમ વિવાદ ઉભા કર્યા વિના ચૂંટણી જીતી શકતું નથી, તેથી ચૂંટણી સમયે આવો વિવાદ સર્જાય છે.મહાવિકાસ આઘાડી એક રહેશે કે નહીં તે અંગે વાડેટ્ટીવારે કહ્યું કે મતોનું વિભાજન ટાળવા માટે દરેકની ભૂમિકા છે. સ્થાનિક નેતા સ્થાનિક પરિસ્થિતિઓ અને સમીકરણોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેશે.દરમિયાન, વડેટ્ટીવારે બ્રહ્મપુરીના ખેડૂત શિવદાસ કુડે દ્વારા શાહુકારને લોન ચૂકવવા માટે કિડની વેચવાના કથિત કેસની પોલીસ તપાસની માંગ કરી. તેમણે કહ્યું કે ખેડૂતને મદદ આપવામાં આવી છે અને તેમને ન્યાય અપાવવા માટે કડક પગલાં લેવા જોઈએ.
નિર્ણય:મહાપાલિકાના તબેલામાંથી ઢોરને છોડાવવાનું શુલ્ક વધ્યું
મુંબઈના રસ્તાઓ પર ખુલ્લેઆમ ફરતા ઢોરોને પકડીને મુંબઈ મહાપાલિકાના તબેલામાં લાવ્યા પછી તેમને છોડાવવા આવતા માલિકોએ હવેથી વધારે શુલ્ક ચુકવવું પડશે. અત્યાર સુધી મોટા જાનવરો માટે અઢી હજાર અને નાના માટે દોઢ હજાર શુલ્ક આપવું પડતું હતું. એમાં હવે ચાર ગણો વધારો કરવામાં આવ્યો છે. તેથી હવે રસ્તા પર છૂટ ફરતા અથા સાર્વજનિક જગ્યાએ અતિક્રમણ કરનાર જાનવરો પર નિયંત્રણ આવશે એવી અપેક્ષા છે. મુંબઈના રસ્તા પર અનેક વખત છૂટ ફરતા ઢોરોને લીધે ટ્રાફિકજામ થાય છે. ક્યારેક કચરાપેટી નજીક ચરતા ઢોરોને કારણે રસ્તા ગંદા થાય છે. ઘણી વખત ઢોર રાહદારીઓ પર હુમલો કરે છે. ક્યારેક રસ્તા પર પડેલા છાણના લીધે રાહદારીઓની હેરાનગતિ થાય છે. આ સંદર્ભની ફરિયાદ મળ્યા પછી મહાપાલિકાના કર્મચારીઓ આવા જાનવરોને પકડી લાવે છે અને મલાડના એવરશાઈન નગર સ્થિત મહાપાલિકાના તબેલામાં રાખે છે. આ જાનવરોના માલિકે તબેલામાં હાજર થઈને ઢોર પર માલિકીહક જણાવ્યા બાદ તેની પાસેથી તબેલાનું શુલ્ક અને ખર્ચ વસૂલ કરવામાં આવે છે. દંડની રકમ ભરીને આ જાનવરો છોડાવવા પડે છે. ત્યાં સુધી જાનવરોને તબેલામાં જ રાખવામાં આવે છે. જો કે શુલ્ક ઓછો હોવાથી ઘણી વખત ઢોરના માલિકો દંડ ભરે છે અને ફરીથી રસ્તા પર ઢોરોને રખડતા મૂકી દે છે. મુંબઈ મહાપાલિકાએ 2004માં ઢોર છોડાવી જવાના શુલ્ક નક્કી કર્યા છે.
કડક કાર્યવાહી કરવાની માગ:પાન્ધ્રોના કેએલટીપીએસ પ્લાન્ટના કારણે ફેલાતું વ્યાપક પ્રદૂષણ બંધ કરો
પાન્ધ્રોમાં કાર્યરત કેએલટીપીએસના એકમ દ્વારા પ્રદૂષણ ફેલાવાય છે તેવા આક્ષેપ સાથે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ કરાયેલી રજૂઆતમાં આ મુદ્દે યોગ્ય કાર્યવાહીની માગ કરાઇ હતી. રજૂઆતમાં જણાવ્યું હતું કે, કચ્છ લિગ્નાઈટ થર્મલ પાવર પ્રોજેક્ટ દ્વારા લિગ્નાઇટનો સ્ટોક ખુલ્લામાં રાખવામાં આવે છે જેના કારણે અવાર નવાર આગના બનાવ બને છે. સાંજના રિકલેમાર ચાલુ કરવાથી આજુબા નો વિસ્તાર પ્રદૂષિત થાય છે. ધુમાડાના કારણે લોકો પરેશાન થાય છે તેમજ ગંભીર પ્રકારની બીમારીઓ થવાનો ભય લાગે છે. લિગ્નાઇટ સ્ટોક માટે શેડ બનાવી તેની ફરતે દિવાલ હોવી જોઈએ જેથી તેની નજીકમાં પશુઓ આગનો ભોગ ન બને. તળાવો, કુવા તેમજ મીઠી ઝાડી તથા ચારિયાણના ઘાસને મોટું નુકસાન થાય છે. આ માટે જવાબદાર અધિકારી તેમજ એજન્સીઓની યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરવાની માગ ખારોટના આમદ હસનએ કરી હતી.
મુલાકાત:ચૂંટણીની ઘોષણા બાદ પ્રફુલ્લ પટેલ અમિત શાહને મળ્યા
રાજ્યમાં મહાપાલિકા ચૂંટણીની ઘોષણા થતાં જ રાજકીય ગતિવિધિઓ શરૂ થઈ છે. આ ધ્યાનમાં લેતાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ (અજિત પવાર જૂથ)ના વરિષ્ઠ નેતાઓએ મંગળવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના નેતા અમિત શાહ સાથે મહત્ત્વપૂર્ણ બેઠક કરી. રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ્લ પટેલ અને રાજ્ય પ્રદેશ અધ્યક્ષ સુનિલ તટકરે શાહ સાથે લગભગ 15 મિનિટ ચર્ચા કરી. આ ચર્ચામાં મહાપાલિકા ચૂંટણીની વ્યૂહરચના અને સ્થાનિક સ્તરે અપનાવવાની નીતિ પર વિચારવિમર્શ થયો. મુંબઈ, થાણે સહિત રાજ્યની 29 પ્રલંબિત મહાપાલિકાઓની ચૂંટણીનો કાર્યક્રમ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જાહેર થયેલા કાર્યક્રમ અનુસાર 15 જાન્યુઆરીએ મતદાન યોજાશે અને 16 જાન્યુઆરીએ પરિણામ જાહેર થશે. ચૂંટણીની તારીખો નિશ્ચિત થતાં જ તમામ રાજકીય પક્ષોએ ચૂ઼ંટણી તૈયારીઓને ગતિ આપી છે. આ બેઠક દરમિયાન અમિત શાહે અજિત પવાર ગટને સ્પષ્ટ સંકેત આપ્યો હોવાનું સૂત્રો કહે છે કે જ્યાં શક્ય હોય ત્યાં યૂતિ કરીને ચૂંટણી લડવી. ભાજપ અને તેના મિત્ર પક્ષોએ એકસાથે આવીને વધુમાં વધુ બેઠકો જીતવા પર ભાર આપવો જોઈએ, એવી સલાહ શાહે આપી છે. સ્થાનિક રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂર પડે ત્યાં યૂતિ, સમજૂતી અથવા અલગ લડતની ભૂમિકા અપનાવવાની પણ તેમણે સૂચના આપી હોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલીક જગ્યાએ જો અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસને શરદ પવારના રાષ્ટ્રવાદી પક્ષ સાથે સમજૂતી કરવી પડે અથવા સાથે લડવું પડે, તો તેને લઈ ભાજપને કોઈ વાંધો નહીં હોય, એવો સંદેશ પણ આ બેઠકમાં આપવામાં આવ્યો છે. ભાજપની આ ભૂમિકાને કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓને વેગ મળ્યો છે.આ બેઠક બાદ અમિત શાહે ટૂંક સમયમાં મહારાષ્ટ્રના ભાજપ નેતૃત્વ સાથે ચર્ચા કરવાની ખાતરી પટેલ અને તટકરેને આપી છે. આ સાથે જ, બુધવારે અજિત પવાર ગટના નેતાઓ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે બેઠક કરશે તેવી શક્યતા છે. આ બેઠકમાં બેઠક વહેંચણીનો પ્રાથમિક ફોર્મ્યુલા અને સ્થાનિક યૂતિઓ અંગે વિસ્તૃત ચર્ચા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સમય ચૂકી જવાની ભીતિ:GST પોર્ટલ ઠપ્પ : દસ્તાવેજ અપલોડ ન થતાં મુશ્કેલી
ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) પોર્ટલમાં ટેકનિકલ ખામી સર્જાતા મંગળવારે દેશભરના કરદાતાઓએ દસ્તાવેજો અપલોડ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. રજીસ્ટ્રેશન કરવા ઇચ્છુક લોકોને વારંવાર ટેકનિકલ સમસ્યાઓ અને સબમિશન અટકી જવાની ફરિયાદ હતી, જેના કારણે વ્યવસાયો અને ટાઇમ-બાઉન્ડ ફાઇલિંગ માટે ઓનલાઇન સિસ્ટમ પર આધાર રાખતા કર વ્યાવસાયિકોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. ઇન્ફોસિસ અને GST નેટવર્ક (GSTN) સાથે સંકળાયેલા સત્તાવાર હેન્ડલ, GST ટેક દ્વારા આ સમસ્યાનો ઔપચારિક સ્વીકાર કરવામાં આવ્યો હતો, જેણે થયેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરતી જાહેર સલાહકાર જારી કરી હતી. સોશિયલ મીડિયા પર એક પિન કરેલી પોસ્ટમાં, GST ટેકએ જણાવ્યું હતું કે, દસ્તાવેજ અપલોડ સમસ્યાએ પોર્ટલની કાર્યક્ષમતાને અસર કરી છે અને વપરાશકર્તાઓને ખાતરી આપી છે કે આ બાબતને પ્રાથમિકતાના આધારે ઉકેલવામાં આવી રહી છે. અમારી ટેકનિકલ ટીમ આ સમસ્યાને વહેલી તકે ઉકેલવા માટે પ્રાથમિકતા પર સક્રિયપણે કામ કરી રહી છે, સલાહકારમાં વાંચવામાં આવ્યું હતું, જ્યારે કરદાતાઓને વિક્ષેપ દરમિયાન ધીરજ રાખવા વિનંતી કરવામાં આવી હતી. જો કે, સેવાઓની સંપૂર્ણ પુનઃસ્થાપના માટે કોઈ ચોક્કસ સમયરેખા આપવામાં આવી ન હતી. ઘણા વ્યાવસાયિકોએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને આ મુદ્દાને ઉજાગર કર્યો હતો, નોંધ્યું હતુ કે વારંવાર પ્રયાસો છતાં નિયમિત જોડાણો પણ અપલોડ કરવામાં નિષ્ફળ રહ્યા છે. કેટલાકે ચેતવણી આપી હતી કે લાંબા સમય સુધી ડાઉન ટાઇમ ચૂકી જવાથી સમયમર્યાદા ચૂકી શકે છે અને સંભવિત લેટ ફી થઈ શકે છે, સિવાય કે અધિકારીઓ યોગ્ય રાહતનો વિચાર કરે. અધિકારીઓએ અનુપાલન સમયમર્યાદા લંબાવવામાં આવશે કે કેમ તે સૂચવ્યું નથી, પરંતુ કર નિષ્ણાતોએ કરદાતાઓને અપલોડ કરવાનો પ્રયાસ કરેલા રેકોર્ડ, ટેકનિકલ એરરના સંદેશાઓના સ્ક્રીનશોટ અને સિસ્ટમ લોગ જાળવવાની સલાહ આપી છે. આવા દસ્તાવેજો, તેઓએ કહ્યું કે, ચકાસણી અથવા પ્રક્રિયાગત વિલંબના કિસ્સામાં વાસ્તવિક પાલન પ્રયાસો દર્શાવવામાં મદદ કરી શકે છે. ભારતની પરોક્ષ કર પ્રણાલીનો મહત્વપૂર્ણ કરોડરજ્જુ, GST પોર્ટલ, ભૂતકાળમાં છૂટાછવાયા તકનીકી સમસ્યાઓનો સામનો કરી ચૂક્યો છે. તકનીકી ખામી સંવેદનશીલ સમયે આવી છેઆ ખામી એક સંવેદનશીલ સમયે આવી છે જ્યારે ઘણી કાનૂની પ્રક્રિયાઓ પોર્ટલ દ્વારા દસ્તાવેજ અપલોડ પર ખૂબ આધાર રાખે છે. આમાં નોટિસના જવાબો દાખલ કરવા, અપીલ સબમિટ કરવા, નવી નોંધણીઓ પૂર્ણ કરવા, વિભાગીય પ્રશ્નોના જવાબ આપવા અને GST માળખા હેઠળ અન્ય પાલન સંબંધિત સબમિશનનો સમાવેશ થાય છે. આવા સમયગાળા દરમિયાન કોઈપણ વિલંબ અથવા ખામી ઘણીવાર સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો, તેમજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને બહુવિધ ગ્રાહકોને સંભાળતા કર પ્રેક્ટિશનરોમાં ચિંતા પેદા કરે છે. - સુનય જરીવાલા, ચાર્ટડ એકાઉન્ટન્ટ, એક્સપર્ટ
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:રણમાં સફેદી નથી, રોડ ટુ હેવન પાણીથી ઘેરાયેલો : પ્રવાસીનો ધોળાવીરામાં ધસારો
સિંધુ સંસ્કૃતિનું એક સમૃદ્ધ કેન્દ્ર એટલે ધોળાવીરા. 27 જુલાઈ 2021ના રોજ ધોળાવીરાને યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યું. ત્યારબાદ અહીં પ્રવાસીઓનો ધસારો દિવસો દિવસ વધી રહ્યો છે. ક્રિસમસ વેકેશન દરમિયાન પ્રવાસન ઋતુ વધુ ખીલશે પરંતુ અત્યારથી શુક્ર, શનિ અને રવિવારે દરરોજ 2000 થી વધુ પ્રવાસીઓ મુલાકાત લે છે. કેન્દ્ર સરકારના પુરતત્વ વિભાગે 2005માં ઉત્ખનન બંધ કર્યું ત્યાં સુધી કોટડા ટીંબા નગરના જે અપર અને લોઅર ટાઉન વિસ્તાર ધરતીમાંથી નીકળ્યું તેને સાચવ્યું. ચાલુ વર્ષે ચોમાસા બાદ પણ વરસાદ પડતા સફેદ રણ વોચ ટાવર આસપાસ પાણી સુકાયું નથી અને સફેદ નમક સખત ચાદરમાં ફેરવાય ત્યાં સુધીમાં પ્રવાસીઓએ ખૂંદીને ત્યાંની સફેદી હણી નાખી છે. તો રોડ ટુ હેવન કે જે માત્ર પસાર થવા માટે નહીં પરંતુ રોડ સાઈડ ઉતરીને મીઠાના રણમાં ફોટો વિડિઓ માટે માનીતું છે તે પણ હજુ દરિયાના પાણીથી ભરેલું છે, ત્યારે પ્રવાસીઓ આ બંને જગ્યાએથી પસાર થઈને ધોળાવીરા પ્રાચીન સભ્યતાનું રસપૂર્વક નિહાળતા જોવા મળ્યા. અહીં આવતા પ્રવાસીઓને સચોટ માહિતી આપતા ગાઈડ નાગજીભાઈ જણાવે છે કે પ્રવાસન વિભાગ કચ્છના આ મહત્વના સ્થળને કેન્દ્રમાં રાખીને વિકાસ કરે તે જરૂરી છે. ટુરિસ્ટને તકલીફ ન પડે તો જ મુલાકાતીઓની સંખ્યા વધશે. મહારાષ્ટ્રના પ્રવાસીને કડવો અનુભવકોઈપણ પ્રવાસન સ્થળ પર સુરક્ષા, સગવડતા અને સભ્યતા હોવી જરૂરી છે. રવિવારે ધોળાવીરા વિરાસતની મુલાકાતે મહારાષ્ટ્રના રિટાયર્ડ પોલીસ અધિકારીનું કુટુંબ જ્યારે અંદર જઈ રહ્યો હતો ત્યારે મહિલા સભ્ય પાછળ ગાય દોડતા સુરક્ષા કર્મીને મદદે આવવા કહ્યું ત્યારે ’મારી ફરજ છે અહીંથી નહીં જવાય’ તેવો જવાબ આપીને માનવતા નેવે મૂકી. આ અંગે સાઇટ પર એક સાથે 10 થી વધુ સુરક્ષા કર્મીઓ આ કુટુંબને ઘેરી વળ્યા હતા અને 30 મિનિટ સુધી બાદ વિવાદ થયો હતો. તે સમયે બધા જ કર્મીઓ પોતાની ફરજની જગ્યા મુકીને એકઠા થઈ ગયા હતા. નારાજ નિવૃત્ત અધિકારીએ કલેકટરને ફરિયાદ કરવા સાથેની નારાજગી વ્યક્ત કરી હતી. પ્રવાસન સ્થળ પર શિસ્ત પણ એટલું જ જરૂરી છે.
સુવિધા:જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ પ્રથમવાર વરતેજને મોક્ષરથની સુવિધા મળી
લોકોની પ્રાથમિક જરૂરિયાતોને પ્રાધાન્ય આપી સરકાર દ્વારા જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવે છે અને સુવિધાઓ ઊભી કરવામાં આવે છે. પરંતુ ગામડાઓમાં હજુ પણ મૃત્યુનો મલાજો પળાતો નથી. મૃત્યુ બાદ સ્મશાન સુધી મૃતદેહને લઈ જવા માટે કોઈ સુવિધાઓ હોતી નથી. ત્યારે ભાવનગર જિલ્લામાં સૌપ્રથમ જિલ્લા પંચાયતની વરતેજ બેઠક હેઠળના સાત ગામોના લોકોની ઉપયોગીતા માટે 13.50 લાખની સભ્યની સ્વભંડોળની ગ્રાન્ટમાંથી મોક્ષરથની સુવિધા અર્પણ કરવામાં આવી છે. ગ્રામ્ય પંથકમાં અને ખાસ કરીને વાડી વિસ્તારમાં મૃત્યુ બાદ સ્મશાન સુધી મૃતદેહને લઈ જવા માટે પગપાળા અથવા તો છોટા હાથી જેવા વાહનોમાં લઈ જવામાં આવતા હોય છે. ચોમાસા દરમિયાન તો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમ છતાં ગ્રામ્ય પંથકમાં મોક્ષ રથની કોઈ સુવિધા નથી. જેના આયોજન માટે જિલ્લા પંચાયતની વરતેજ બેઠકના સભ્ય બળદેવ સોલંકી દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી સભ્ય ગ્રાન્ટનું આયોજન કરી 13.50 લાખના ખર્ચે મોક્ષરથની સુવિધા ઉભી કરવામાં આવી છે. વરતેજ બેઠક હેઠળના સાત ગામના લોકોને મોક્ષરથની સુવિધાનો લાભ મળશે. વરતેજ ખાતે વરતેજ જિલ્લા પંચાયતના મતવિસ્તારના લોકો માટે મોક્ષરથનું લોકાર્પણ કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.જિલ્લા પંચાયતના સદસ્ય વિરોધ પક્ષના નેતા બળદેવ સોલંકીની ગ્રાન્ટમાંથી મોક્ષરથ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરીના વરદહસ્તે મોક્ષરથનું લોકાર્પણ કરવામાં આવ્યું. વરતેજ ગ્રામ પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં આગેવાનો,યુવાનો ગ્રામ પંચાયતના સદસ્યો, સરપંચો, માજી સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.
એક્સક્લુઝિવ:હીરા બજારમાં 20થી વધુ નિકાસકારોને એકપણ ઓર્ડર નહિ
અમેરિકાએ ઓગસ્ટ મહિનાથી ભારતના જેમ્સ એન્ડ જ્વેલરીના નિકાસ વ્યાપાર પર લાગુ કરેલા વધારાના 25 % ટેરિફથી જેમ્સ એન્ડ જ્વેલરીના વ્યવસાયની માઠી દશા બેઠી છે. જેમાં ખાસ કરીને જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગની પીઠું ગણાતા સુરત અને ભાવનગર જિલ્લામાં પણ વત્તા-ઓછા પ્રમાણમાં અસર વર્તાઈ છે. સુરતની સરખામણીએ ભાવનગરની હીરા બજારમાં મંદી વધુ ઘેરી બની છે ત્યારે નવેમ્બર મહિનામાં અમેરિકા સહિતના દેશોમાંથી ઓછી ડિમાન્ડ નીકળતા ક્રિસમસના તહેવાર ટાણે પણ ભાવનગર જિલ્લાની હીરા બજારમાં 20થી વધુ નિકાસકારોને એક્સપોર્ટને લગતો ઓર્ડર ન મળતા હીરા બજારમાં મંદીનો ઓછાયો ઘેરો બન્યો છે. અમેરિકા ટેરિફના અમલ પહેલાના સમયમાં ક્રિસમસના તહેવારોને લઈ દર વર્ષે નવેમ્બર મહિનામાં ભાવનગરમાંથી સારા એવા પ્રમાણમાં રિયલ ડાયમંડનું એક્સપોર્ટ થતુ હોય તેજીનો સળવળાટ જોવા મળતો હતો. બહુધા દર વર્ષે નવેમ્બર મહિનામાં મળતા ઓર્ડરોને ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં પૂર્ણ કરી દેવામાં આવતા હોય છે. જોકે હાલમાં ક્રિસમસના તહેવારોમાં વિદેશમાંથી ઓછી ડિમાન્ડ તથા અમેરિકન ટેરિફના બેવડા મારથી નવેમ્બર મહિનો ભાવનગર જિલ્લાના હીરા ઉદ્યોગના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી ખરાબ મહિનો સાબિત થયો છે તેવુ પહેલીવાર બન્યુ છે. હીરા ઉદ્યોગમાં 2026ના નવા વર્ષમાં સ્થિતિ સુધરશેઅમેરિકન ટેરિફની વિપરીત અસરથી ભાવનગર જિલ્લાનો હીરા ઉદ્યોગ પડી ભાંગ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મારા 1998માં હીરાના વ્યવસાયમાં આવ્યા બાદનો સૌથી ખરાબ સમય અત્યારે ચાલી રહ્યો છે ત્યારે હીરા ઉદ્યોગમાં 2026ના નવા વર્ષમાં સ્થિતિ સુધરશે તેવી આશા છે. - વિપુલભાઈ પટેલ, આયુષ એક્સપોર્ટ, ભાવનગર, એક્સપર્ટ ડિમાન્ડ નીકળી પણ ભાવનગર જિલ્લાને કોઈ ફાયદો નહીં !જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ મુંબઈના નવેમ્બર માસના આંકડા મુજબ ક્રિસમસને લઈ નેચરલમાં 3 કરેટેથી વધારે સાઈઝના હીરા ઉપરાંત ફેન્સી નેચરલ કલર ડાયમંડની માંગ વધી છે. જોકે દર વર્ષની સરખામણીએ નીકળતી ડિમાન્ડ સામે ઓછી ડિમાન્ડથી ભાવનગરના હીરા ઉદ્યોગને કોઈ ફાયદો થયો નથી.
ભાસ્કર એક્સક્લુસિવ:મુંબઇમાં ‘મેસ્સી’એ કીક મરેલો ફૂટબોલ ધાણેટીના ‘મેસ્સી’એ કેચ કર્યો
લિયોનેલ મેસ્સી ભારત પ્રવાસે છે, તેના સાથે કે તેના ફૂટબોલ સાથે સેલ્ફી ક્લિક કરવા દિગ્ગજ નેતાઓથી લઈને સેલિબ્રિટીઓ બાકાત નથી. પરંતુ, નસીબ કોને કહેવાય તે ધાણેટીના યુવાનોએ સાબિત કરી બતાવ્યું છે. ભુજ તાલુકાના ધાણેટી ગામમાં યુવાનોએ ફિફા વર્લ્ડકપ જોઈને ફૂટબોલ ક્લબની સ્થાપના કરી હતી, ત્યાંના યુવાનો મેસ્સીને જોવા મુંબઈ પહોંચ્યા અને તેનો ક્લિક કરેલો ફૂટબોલ આ યુવાનોએ કેચ કર્યો. ધાણેટીના યુવાનોએ 2014માં ફિફા વર્લ્ડકપ જોઈ આવેલો વિચારને ફૂટબોલ ક્લબમાં બદલ્યો અને આજે આ ગામમાં પાકી નેટ અને 90 બાય 60નું મેદાન પણ છે. 2015માં પહેલીવાર કચ્છમાં ફૂટબોલ ટુર્નામેન્ટનું ગ્રામ્ય કક્ષાએ આયોજન અહીં કરવામાં આવ્યું હતું અને આજે પણ દર ત્રણ મહિને આહીર ફૂટબોલ ક્લબ ઇન્ટર ધાણેટી ટુર્નામેન્ટનું આયોજન કરે છે. જે દર્શાવે છે, નાનકડા ગામનો ફૂટબોલ પ્રેમ કેટલો મોટો છે ગામમાં છે, ઇંગ્લિશ ટીમોના નામ | આ ગામડાની ટીમોના નામ આંતરરાષ્ટ્રીય સ્તરના ટીમોના નામ પ્રમાણે છે અને ઓક્શન પદ્ધતિ પણ એ રીતે જ કરે છે. અહીં બનાવાયેલી ટીમોના નામ લા લિગા અને ઈંગ્લીશ પ્રીમિયર લીગથી પ્રેરિત હોય છે. ખાસ કરીને, બાર્સેલોના, રિયલ મેડ્રિડ, માન્ચેસ્ટર યુનાઇટેડ, માન્ચેસ્ટર સીટી સહિતની ટીમ છે. અહીંનો મહેશ પણ મેસ્સીના નામે જ ઓળખાય છે. અહીં બનાવાયેલી ટીમોના નામ લા લિગા અને ઈંગ્લીશ પ્રીમિયર લીગથી પ્રેરિત હોય છે. ખાસ કરીને, બાર્સેલોના, રિયલ મેડ્રિડ, માન્ચેસ્ટર યુનાઇટેડ, માન્ચેસ્ટર સીટી સહિતની ટીમ છે. અહીંનો મહેશ પણ મેસ્સીના નામે જ ઓળખાય છે. ‘ચાહકો મોં માંગી કિંમત આપવા તૈયાર હતા, અમે ફૂટબોલ ના આપ્યો’લિયોનેલ મેસ્સી તેના ભારત પ્રવાસે છે,એ જાણી અમે રોમાંચિત હતા. પણ સ્વપનમાં પણ ક્યારે ન હતું વિચાર્યું કે, મેસ્સીનો કીક મરેલો ફૂટબોલ અમારા સુધી પહોંચશે. ધાણેટીથી અમે મેસ્સીને જોવા દિલ્હી, કોલકત્તા અને મુંબઈ ત્રણેય વિકલ્પ રાખ્યા હતા. કોલકત્તાની મગજમારી જોઈ અમને થોડી બીક હતી, પણ અમે અંતે મુંબઈ ગયા. એક મોબાઈલ નંબરથી ચાર ટિકિટ બુક થતી હતી, એટલે અમને નીચે એકસાથે તમામ ટિકિટ ન મળી. એક ચારના ગ્રુપને નીચે મળી અમે સ્ટેડિયમમાં ઉપર હતા. મેસ્સીએ આઇકોનિક કીક મારી અને સીધો ફૂટબોલ અમારા પાસે આવતા જ અમે કેચ કરી લીધો. જેવો ફૂટબોલ અમને મળ્યો એટલે અમે તેને ચૂમી લીધો. ટીવીમાં લાઈવ ટેલિકાસ્ટમાં આ સમગ્ર ફૂટેજ જોઈ 200-300 લોકો અમને મળવા આવ્યા, કેટલાકે ફૂટબોલ મોં માંગી કિંમતે ખરીદવા ઓફર કરી, તો કેટલાક લોકોએ ફૂટબોલ સાથે સેલ્ફી ક્લિક કરવા હજારો રૂપિયાની ઓફર કરી અમે બધું નકાર્યું. અમે લોકોને નિઃશુલ્ક ફોટો ક્લિક કરવા દીધા. સ્ટેડિયમથી બહાર નીકળતા અમે ફૂટબોલને ચાર-પાંચ ટીશર્ટમાં વિંટાળી હોટેલ સુધી લઇ ગયા, કારણ કે અમૂલ્ય ખજાનો ચોરાઈ જવાનો અમને ડર હતો. આ ફૂટબોલને અમે ભુજ તાલુકાના ધાણેટીમાં આહીર ફૂટબોલ ક્લબમાં કાચમાં મઢીને રાખીશું. મારી સાથે અમારા ક્લ્બથી જોડાયેલ 12 જેટલા ફૂટબોલના ડાઇહાર્ડ ફેન ફ્લાઇટના માધ્યમથી મુંબઈ પહોંચ્યા હતા.”
આયોજન:19થી 21 ડિસે. સુધી સ્વદેશી સશક્ત નારી મેળો યોજાશે
આત્મનિર્ભર ભારત, મહિલા નેતૃત્ત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝનને સાકાર કરવા ગુજરાતના વિકાસમાં મહિલાઓના યોગદાનને પ્રદર્શિત કરવા, ઉજવણી કરવા અને સશક્ત કરવા માટે રાજ્યભરમાં સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્વદેશી અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તા. 19થી 21 ડિસેમ્બર દરમિયાન જવાહર મેદાન ખાતે ત્રિ-દિવસીય સશક્ત નારી મેળા'નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાને ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રીકૌશિકભાઈ વેકરીયાના હસ્તે તા.19 ડિસેમ્બરના રોજ ખુલ્લો મુકવામાં આવશે. આ મેળામાં કુલ 100 સ્ટોલ્સ ઉભા કરવામાં આવશે, જેમાં જિલ્લાની મહિલા ઉદ્યોગ સાહસિકો દ્વારા તૈયાર કરાયેલા સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા સામગ્રી અને અન્ય ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ થશે. આ મેળા દ્વારા પાયાના સ્તરે થઈ રહેલા પરિવર્તનકારી બદલાવને ઉજાગર કરી મહિલાઓને નવી તકો પૂરી પાડવામાં આવશે. આ મેળો મહિલાઓની આત્મનિર્ભરતા, આર્થિક સશક્તિકરણ અને ઉદ્યોગસાહસિકતાને વધુ પ્રોત્સાહન આપશે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યવ્યાપી સ્તરે તા.11થી 23 ડિસેમ્બર સશક્ત નારી મેળા નું આયોજન કરાયુ છે. આ મેળાનો રાજ્યવ્યાપી શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તા.11 ડિસેમ્બરના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતેથી કરાયો હતો.
ભુજના કેપ્ટને 126 રન બનાવ્યા,3 વિકેટ લીધી:કેસીએ ભુજ અંડર 14 ટીમનો જામનગર રૂરલ સામે વિજય
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિયેશન આયોજીત આંતર જીલ્લા અંડર- 14 ટેસ્ટ મેચ ક્રિકેટ ટૂર્નામેન્ટની DPS ગ્રાઉન્ડ ગાંધીધામ ખાતે શરૂ થયેલી લીગ મેચમાં કેસીએ ભુજનો જામનગર રૂરલ ટીમ સામે પ્રથમ દાવની સરસાઇના પગલે વિજય થયો હતો. મેચનો આરંભ DPS ગાંધીધામના ડાયરેકટર ડૉ. સુબોધ થપલિયાલના હસ્તે ટોસ ઉછાળીને કરવામાં આવ્યો હતો. ટોસ જીતીને જામનગર રૂરલએ કચ્છની ટીમને બેટિંગ માટે આમંત્રિત કરી હતી. KCA ભુજની ટીમએ 6 વિકેટના ભોગે 90 ઓવરમાં 283 રન કર્યા હતા. જેમાં પ્લેયર ઓફ ધ મેચ કિર્તન કોટકના 126 રન, મોહમ્મદ અર્શ નોડેના 47 રન અને જૈનિક મંગેરિયાના 32 રન મુખ્ય હતા. જવાબમાં જામનગર રૂરલની ટીમ તેની પ્રથમ ઇનિંગમાં 69.5 ઓવરમાં માત્ર 134 રનમાં ઓલ આઉટ થઈ જતા તેને ફોલ-ઓન જાહેર કરવામાં આવી હતી. કચ્છ વતી બોલિંગમાં જયદીત્યસિંહ સોઢાએ 3 વિકેટ, કિર્તન કોટક અને જૈનિક મંગેરિયાએ 2-2 વિકેટ તેમજ વિશ્વજીતસિંહ જાડેજા અને અરહાન આરબએ 1-1 વિકેટ લીધી હતી. દિવસે ફોલોઓન બાદ બીજી ઇનિંગમાં જામનગર રૂરલ ટીમએ ર70 ઓવરમાં 5 વિકેટના નુકશાને 151 રન કર્યા હતા. કચ્છ તરફથી જયદીત્યસિંહ સોઢા, અરહાન આરબ, સૌમ્ય ઠક્કર અને કિર્તન કોટકને 1-1 વિકેટ મળી હતી. આમ જામનગર રૂરલ ટીમ પ્રથમ ઈનિંગમાં 149 રનથી પાછળ રહી જતાં KCA ભુજ ટીમને પ્રથમ ઇનિંગની સરસાઈના કારણે વિજેતા જાહેર કરવામાં આવી હતી.
ચેકિંગ:અમૂલ દૂધ,છાશની છાપેલી કિંમત કરતા વધુ ભાવ લેતા 2 વેપારીને દંડ
ભાવનગર શહેર જિલ્લામાં જુદા જુદા વેપારીઓને ત્યાં ભાવનગર તોલમાપ કચેરીના અધિકારી, કર્મચારીઓ દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન 387 જેટલા વેપારીઓને ત્યાં નિરીક્ષણ હાથ ધરાયું હતું. તેમજ ચાલુ માસ દરમિયાન ચકાસણી પાત્ર વાર્ષિક તેમજ દ્વિવાર્ષિક ઇલેક્ટ્રીક તેમજ મીકેનીક વજન માપ સાધનોની ખરાઇ કરી, ચકાસણી મુન્દ્રાકન ફી વસુલ કરવામાં આવી હતી. તેમજ શહેર અને જિલ્લામાં અમુલ દુધ, છાશની છાપેલી કિંમત કરતા વધુ ભાવ લેતા બે વેપારીઓ દંડાયા હતા. આ સિવાય પેટ્રોલપંપ, શાકભાજી, ફ્રુટના વેપારીઓને ત્યાં ચકાસણી કરવામાં આવતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો. ભાવનગર તોલમાપ વિભાગ કચેરી દ્વારા સમયાંતરે જુદા જુદા વેપારીઓને ત્યાં ચેકીંગ હાથ ધરી, નિરીક્ષણ કરવામાં આવતું હોય છે તેમજ ઇલેક્ટ્રીક અને મિકેનીક વજન માપ સાધનોની ચકાસણી મુદ્રાંકન કરવામાં આવ્યું હતું. તોલમાપ કચેરી દ્વારા 387 જેટલા વેપારીઓને ત્યાં નિરક્ષણ હાથ ધરી, ઇલેક્ટ્રીક તેમજ મીકેનીક વજન માપ સાધનોની ખરાઇ કરી, ચકાસણી ફી પેટે રૂા. 6,79,625 વસુલાયા હતા. તેમજ વજન માપ સાધનોની ખરાઇ માટે તારીખ પૂર્ણ થયા બાદ રજુ કરેલ વેપારીઓ પાસેથી લેટ ફી પેટે રૂા. 26320 વસુલાયા હતા. ઉપરાંત 759 વજન માપ સાધનોની ખરાઇ કરી, ચકાસણી મુદ્રાંકન કરાયા હતા. માસ દરમિયાન પી.સી.આર.ના અને વજન માપના કુલ 11 કેસો કરી રૂા. 41,500નો દંડ વસુલાયો હતો. ઉપરાંત તોલમાપ કચેરી દ્વારા નિયત સમયમાં ચકાસણી મુદ્રાંકન ન કરનાર બે પેટ્રોલંપપને રૂા. 12,000નો દંડ તેમજ એક હોટલને રૂા. 10,000 અને ફ્રુટ અને શાકભાજીના છ ફેરીયાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરાઇ હતી. અને અમુલ દુધ અને છાશની એમ.આર.પી. કિંમત કરતા વધુ ભાવ લેવા જણાઇ આવતા બંન્ને વેપારીઓને રૂા. 10,000નો દંડ ફટકારી કાર્યવાહી કરાઇ હતી. અત્રે ઉલ્લેખનિય છે કે શહેર અને જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં દૂધ અને દહીંની કોથળી પર છાપેલી કિંમતથી થોડા વધુ ભાવો લેવાતા હોય છે.
વાતાવરણ:પવનની દિશા બદલતા ડિસેમ્બર મધ્યે રાતે તાપમાન વધીને 18 ડિગ્રી
આ વર્ષે ડિસેમ્બર માસ અડધો વીતી ગયો છે પણ ભાવનગર શહેરમાં કડકડતી ઠંડનો એક પણ તબક્કો આવ્યો નથી. લોકો હજી તીવ્ર કોલ્ડ વેવની રાહમાં છે ત્યારે છેલ્લાં 24 કલાકમાં શહેરમાં રાતનું તાપમાન 2.8 ડિગ્રી વધી જતા ઠંડીની તી્વરતામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. આ વખતે હજી વેસ્ટર્ન ડિસ્ટબન્સ સક્રિય ન થતા કોલ્ડ વેવનો અનુભવ ભાવનગરમાં થયો નથી. શહેરમાં મહત્તમ તાપમાન ઘટીને 28 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. આજે શહેરમાં સામાન્ય કરતા રાતનું ઉષ્ણતામાન 3 ડીગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયુ હતુ. લઘુતમ તાપમાન અને મહત્તમ તાપમાન પર પવનની દિશા મહત્ત્વની અસર કરે છે. જો ઉત્તર પૂર્વ એટલે કે ઇશાનના પવન ફૂંકાય તો ઠંડી વધે છે અને જો માત્ર પૂર્વ કે પશ્ચિમ દિશાના પવન ફૂંકાઈ તો ઠંડીની માત્રામાં ઘટાડો થવાની સાથે ગરમી વધે છે. આ સંજોગોમાં ભાવનગર શહેરમાં આજે સવારે 6 કિલોમીટરની ઝડપે અને સાંજના સમયે 12 કિલોમીટરની ઝડપે પવન ફૂકાયો હતો. શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 30.1 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે 2.1 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 28 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 15.2 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે 2.8 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 18 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. શહેરમાં આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 74 ટકા હતુ તે સાંજે ઘટીને 49 ટકા થઇ ગયુ હતુ. બરફવર્ષા કે વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય ન થતા કોલ્ડવેવ આવ્યો નથી. રાતના તાપમાનમાં વધારો તારીખ રાતનું તાપમાન 16 ડિસેમ્બર 18.0 ડિગ્રી સેન્ટીગ્રેડ 15 ડિસેમ્બર 15.2 ડિગ્રી સેન્ટીગ્રેડ 14 ડિસેમ્બર 14.6 ડિગ્રી સેન્ટીગ્રેડ ગત વર્ષની તુલનામાં રાતે તાપમાન 5.8 ડિગ્રી વધુભાવનગર શહેરમાં બરફવર્ષાના સૂસવાટા મારતા પવનથી ગત વર્ષે 2025માં 16 ડિસેમ્બરે 12.2 ડિગ્રીએ સિઝનની સૌથી વધુ ઠંડીનો અનુભવ થયો હતો. જ્યારે આ વર્ષે 16મીએ લઘુત્તમ ઉષ્ણતામાન 18 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય ગત વર્ષેની તુલનામાં આ વર્ષે 16મી ડિસેમ્બરે રાતનું તાપમાન 5.8 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયું છે.
કાર્યવાહી:દારૂના ખોટા કેસની ધમકી આપી ખંડણી માંગનાર બે ઇસમોને ઝડપી પડાયા
માધાપરના યુવાન વિરુદ્ધ અરજી કરી દારૂના ખોટા કેસ કરવાની ધમકી આપી રૂપિયા 50 હજારની ખંડણી માંગ્યા બાદ 25 હજાર પડાવી લેનાર ભુજ અને નવી અંજારના બે ઈસમોને એલસીબીએ ઝડપી લીધા હતા.પોલીસે કેમ્પ એરિયામાં રહેતા આરોપીની અટકાયત કરી ત્યારે ઝપાઝપી કરતા વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી હાર્દિક ઉમેદગર ગુસાઈએ માધાપર પોલીસ મથકે આરોપી સલીમ મામદ કુંભાર અને નવી અંજારના ગુલામહુશેન ભાવનશા શેખ વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 15 નવેમ્બરથી 15 ડીસેમ્બર સુધીના સમયગાળા દરમિયાન બન્યો હતો.આરોપીઓએ ફરિયાદી પાસેથી રૂપિયા પડાવવા ફરિયાદી વિરુદ્ધ અરજી કરી હતી.અને રૂપિયા 50 હજારની ખંડણી માંગી હતી. જે બાદ આરોપીઓએ રૂપિયા 25 હજાર મેળવી લઇ દર મહીને રૂપિયા આપવાનું કહ્યું હતું.જો રૂપિયા નહીં આપે તો ફરિયાદી વિરુદ્ધ દારૂના ખોટા કેસ અને પાસાની કાર્યવાહી કરાવવાની ધમકી આપી હતી.જે ગુનામાં કેમ્પ એરીયાના આરોપી સલીમ મામદ કુંભારની પોલીસ ધરપકડ કરવા માટે ગઈ હતી.એ દરમિયાન આરોપીએ પોલીસકર્મીઓને ગાળો બોલી ઝપાઝપી કરી મુઢ ઈજાઓ પહોચાડી હતી.જે મામલે ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.એલસીબીએ બન્ને આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કામગીરી:સરકારી જમીન પર કરોડો રૂપિયાના ભાડા વસુલનારા શખ્સો સામે કાર્યવાહીના સંકેત
ભાવનગરના અલંગ અને મણાર ગામની સરકારી પડતર અને ગૌચરની જમીનો પર વર્ષોથી ખડકાયેલા દબાણો પર રાજ્ય સરકારની નજર સ્થર થઇ અને નિર્ણય લેવાયો દબાણો હટાવવાનો, પરંતુ અહીં માત્ર દબાણો જ નહીં પરંતુ મોટામાથાના, રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવતા ભેજાબાજો દ્વારા સરકારી જમીનો પર ખોલીઓ, ઓરડીઓ, દુકાનો, વ્યાવસાયિક શેડ ઉતારી અને તેના વર્ષોથી કરોડો રૂપિયાના ભાડા ઉઘરાવનાર શખ્સો સામે પણ કાર્યવાહીનો તખ્તો ઘડાઇ રહ્યો છે. તા.17થી તમામ દબાણો હટાવવા માટેની તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવાયો છે. લાંબા સમયથી તળાજા મામલતદાર કચેરી દ્વારા દબાણો હટાવવાની પ્રક્રિયા ખોરંભે ચડેલી હતી તેનું નિરાકરણ લાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. તળાજા મામલતદાર કચેરીના સુત્રોના જણાવ્યા અનુસાર 459 લોકો દ્વારા 63 હેક્ટર જમીન પર દબાણો ખડકવામાં આવ્યા હતા. મામલતદાર કચેરી દ્વારા 17મી ડિસેમ્બરથી તમામ દબાણો હટાવવા માટે સંબંધિત સરકારી તંત્રને જાણ કરવામાં આવી છે. તળાજા પ્રાંત અધિકારી જે.આર.સોલંકીના જણાવ્યા અનુસાર, કુલ છ ટીમો બનાવવામાં આવી છે, અને 4 ટીમોમાં નાયબ મામલતદાર અને 2 રેવન્યુ તલાટીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે 2 ટીમોને રીઝર્વ રાખવામાં આવી છે. પોલીસ તંત્રને સાથે રાખી કોઇપણ બિનઇચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રખાઈ છે. 63 હેક્ટર જમીન પરના દબાણો હટાવવામાં આવશે અને તેમાં શેહ-શરમ કે દબાણ ચલાવી લેવાશે નહીં. સરકારની સીધી નજર છે ડિમોલિશન પરઅલંગ અને મણાર ગામની સરકારી, ગૌચર જમીનો પર વર્ષોથી દબાણ કરવામાં આવેલા હતા હવે તેને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, અને આ મેગા ડિમોલિશન પર સરકાર દ્વારા સીધી નજર રાખવામાં આવી રહી છે. તંત્રને કોઇની શેહ-શરમ નહીં રાખવાના પણ આદેશ આપવામાં આવ્યા છે.
કાર્યવાહી:ખાવડા આરઈ પાર્કમાંથી 80 હજારના કોપર કેબલ ચોરનાર પકડી પડાયો
ખાવડા નજીક આવેલા આરઈ પાર્કમાંથી પવનચક્કી નજીક પડેલા રૂપિયા 80 હજારની કિંમતના કોપર કેબલ ચોરી કરી સ્કોર્પિયો કારમાં ભુજ વેચવા માટે આવી રહેલા મુળ રાજસ્થાનના શખ્સને એલસીબીએ ઝડપી લીધા બાદ અન્ય એકનું નામ સામે આવતા તેને પણ ઉઠાવી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીની ટીમ મિલકત સબંધી ગુના શોધવા માટે પ્રયત્નશીલ હતી.એ દરમિયાન બાતમી મળી હતી કે,સફેદ કલરની સ્કોર્પિયો કાર નંબર આરજે 01 યુએ 6950 વાળીમાં ચોરાઉ કોપર કેબલ ભરી પાલારા જેલ તરફથી ભુજમાં સગેવગે કરવા આરોપી આવી રહ્યો છે.બાતમીને આધારે વોચમાં રહેતા સ્કોર્પિયો કાર લઇને આવેલા આરોપી કિશન રામનિવાસ ટેલરને ઝડપી લેવામાં આવ્યો હતો પોલીસે કારમાં તપાસ કરતા રૂપિયા 80 હજારની કિંમતનો 200 કિલો કોપર વાયર મળી આવ્યો હતો.જેના આરોપી પાસે આધાર પુરાવા ન હતા.આરોપીની પૂછપરછ કરતા પોતે અને ઘનશ્યામ ભવરલાલ વૈષ્ણવે સાથે મળી પવનચક્કી પાસે પડેલા વાયરની ચોરી કરી હતી અને ભુજમાં વેચવા માટે લઇ જતો હતો.એલસીબીએ માંડવી ઓકટ્રોય ચાની કીટલી નજીકથી ગુનામાં સંડોવાયેલા આરોપી ઘનશ્યામ વૈષ્ણવને પણ ઝડપી લીધો હતો.પોલીસે મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આયોજન:પાડલીયામાં આદિવાસી આવાસો હટાવવાના વિરોધમાં કિસાન સભા
અંબાજી મુકામે પાડલીયા ગામમાં આદિવાસીઓ રહેઠાણ હટાવવાની કામગીરી થઈ છે તેનો કિસાન સભાની રાજ્ય સમિતિ રાજ્યપાલને આવેદનપત્ર આપવા નક્કી કરેલ છે. આદિવાસીઓને જંગલ જમીનમાંથી હટાવવા વૃક્ષારોપણ બહાનું છે પોલીસ ખાતા અને જંગલ ખાતાનો જુલ્મ બંધ કરો તેવા નારા સાથે કિસાન સભા યોજાશે. અંબાજી નજીક પાડલીયા ગામમાં જંગલ જમીન ઉપર રહેઠાણ બનાવી રહેતા વર્ષોથી જંગલ જમીનનો કબજો ધરાવતા આદિવાસી પરિવારોને હટાવવા જંગલ ખાતાએ પોલીસ દળના રક્ષણ નીચે વૃક્ષારોપણ કામગીરીની કાર્યવાહીથી આદિવાસી પરિવારોની કાર્યવાહી થઈ છે. આદિવાસીઓના બંધારણીય અધિકારોના ભંગ સમાન છે આદિવાસીઓ ને જંગલ જમીનના કાયદાથી મળેલ અધિકારો આપવાની ગુજરાત સરકારે નામ માત્ર કામગીરી કરેલ છે તેનાથી બહુમતી આદિવાસીઓને અન્યાય થયો છે. જંગલ જમીનના કાયદાઓ મુજબ કબજાઓ કાયમી કરવા માગેલી અરજીઓ માંથી 90 ટકા અરજીઓના મંજૂર કરેલ છે. ગુજરાત કિસાન સભાની આજે મળેલી રાજ્ય સમિતિની મીટીંગમાં ઘટનાની વિગતો અંગે તપાસ કરતા આ આદિવાસી જનતાના અન્યાયને દૂર થવો જોઈએ આ અંગે ગુજરાતના રાજ્યપાલને ગુજરાત કિસાન સભા તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર આપી માંગ કરશે કે રાજ્ય સરકાર આદિવાસીઓના અધિકાર અંગે વહેલાસર પગલાંઓ લઈ આદિવાસીઓની માંગ મુજબ જંગલ જમીનમાં રહેઠાણ અને ખેતીની જમીનના હકોને કાયમી કરવા દરમિયાનગીરી કરવાની રજૂઆત કરશે ગુજરાત કિસાન સભાનું પ્રતિનિધિ મંડળ પાડલીયા ગામની રૂબરૂ મુલાકાત લેશે તેમ કિસાન સભાના ડાયાભાઈ ગજેરાએ જણાવ્યું હતુ. જં
ગીતા જ્ઞાન:બાળમંદિરના 15 બાળકો શ્રીમદ ભગવદ્ ગીતાનો 5મો અધ્યાય કડકડાટ બોલી જતાં શ્રોતાઓ આશ્ચર્યચકિત
શહેરના શારદા સંસ્થાન શારદા સંસ્કાર કેન્દ્ર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત ગીતા અધ્યાય પાંચની સ્પર્ધામાં પાંચ ગ્રૂપ મળીને 60 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. 30 વર્ષ સુધીના બાળકોએ પાંચમાં અધ્યાયના શ્લોકો રજૂ કર્યા હતા. જે પૈકી કેજીના 15 બાળકો દ્વારા ગીતાને સાંભળીને કંઠસ્થ કરેલા શ્લોકો રજૂ કર્યા હતા. આ બાળકો ગીતાના શ્લોકો લખી શકે એટલી ઉંમરના ના હોવાથી તેમને ગીતા સાંભળીને યાદ રાખી હતી અને તે લોકો રજૂ કર્યાં હતા. સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ, છોટાઉદેપુર, વડોદરાના મળી 60 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેમાંથી વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા. સંસ્થા દ્વારા છેલ્લા બે વર્ષથી દર છ મહિને એક અધ્યાયની સ્પર્ધા રાખવામાં આવે છે. આ વખતે 18 અધ્યાય પૈકી એટલે કે, કર્મ સંન્યાસ યોગ ઉપર આ સ્પર્ધા યોજાઇ હતી. અત્યાર સુધીમાં 250 બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે. સનાતન ધર્મમાં ભગવદ્ ગીતાનું ખુબ મહાત્મય છે. ત્યારે નવી પેઢી ભારતીય ધરોહરને સાચવી રહી હોવાનંુ આ સ્પર્ધા પરથી જાણી શકાય છે. 20 વર્ષથી નિ:શુલ્ક ગીતા શીખવાડવાનું સેવા કાર્ય કરાય છેશહેરના વાડી ખેડકર ફળિયામાં છેલ્લા 20 વર્ષથી શ્રીમદ ભાગવત ગીતાના 18 અધ્યાય શીખવવામાં આવી રહ્યા છે. પાંચ વર્ષ પૂર્ણ થયા હોય તે બાળક સોમવારથી શનિવાર દરમિયાન આ શીખવા આવી શકે છે. શારદા સંસ્કાર કેન્દ્ર અને પદ્મજાબેન પાઠક ગીતાના અધ્યાય શીખવી રહ્યા છે. ગીતાના પાંચમાં અધ્યાયના 29 પૈકી આઠમો શ્લોક અઘરોગીતાના પાંચમા અધ્યાય કર્મ સંન્યાસ યોગના કુલ 29 શ્લોક છે જે પૈકી આઠમો શ્લોક, નૈવ કિંચિત કરોમીતિ- બોલવામાં સૌથી અઘરો હોવાનું સંસ્થાના સુરેખાબેન દાંડેકરે જણાવ્યું હતું. નાના બાળકોએ પણ આ શ્લોક રજૂ કરતા સૌ મંત્રમુગ્ધ થયા હતા. બાળકો દ્વારા 10 શ્લોક રજૂ કરવામાં આવ્યા હતા.
શિક્ષણ:ગુજકેટમાં 30મી સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પાસ કર્યા બાદ ડિગ્રી ઇજનેરી ડિગ્રી કે ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજિયાત કરવામાં આવી છે. ગુજકેટ 2026ની પરીક્ષા આગામી 29 માર્ચ, 2026ના રવિવારના રોજ લેવામાં આવશે. આ કસોટી માટે ગુજરાત શિક્ષણ બોર્ડે ફોર્મ ભરવાની તારીખ 16 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર, 2025 સુધી રાખવામાં આવી છે. ડિગ્રી ઈજનેરી તથા ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટ-2026ની ઓનલાઈન નોંધણી આજથી શરૂ થઇ ગઇ છે. ધોરણ 12 સાયન્સ એ, બી અને એબી ગ્રૂપના ઉમેદવારો ફોર્મ ભરી શકશે. બોર્ડની સત્તાવાર વેબસાઇટ gujcet.gseb.org પરથી અરજી કરી શકાશે. જેમાં પરીક્ષાની ફી 350 રૂપિયા રહેશે. એસબીઆઇ પે સિસ્ટમ મારફત ઓનલાઇન (ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ) દ્વારા અથવા એસબીઆઇના એસબીઆઇ બ્રાન્ચ પેમેન્ટ ઓપ્શન દ્વારા કોઇ પણ એસબીઆઇ બ્રાન્ચમાં ભરી શકાશે. ફી ભર્યા બાદ સંપૂર્ણ આવેદનપત્ર ફરજિયાત ભરવાનું રહેશે તેમ ભાવનગરના ડીઇઓ હિતેન્દ્રસિંહ પઢેરિયાએ જણાવ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન તેમજ ગણિત વિષયોમાં એનસીઈઆરટીના પાઠ્યપુસ્તકોનો અમલ થયો છે અને ncert આધારિત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા નિયત થયેલા પ્રવર્તમાન અભ્યાસક્રમ મુજબ ગુજકેટ પરીક્ષા લેવાશે. ડિગ્રી ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટની કસોટી આપવી ફરજીયાત કરવામાં આવી છે. 6 વર્ષમાં સંખ્યા 20 હજાર વધી વર્ષ રજીસ્ટ્રેશન પરીક્ષા આપનાર 2025 1,29,912 1,26,197 2024 1,38,080 1,34,506 2023 1,30,788 1,26,605 2022 1,08,154 1,04,464 2021 1,17,932 1,13,202 2020 1,27,625 1,06,164 ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્ત ગુજકેટમાં ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્ત લેવામાં આવશે આ બંને માટે 120 મિનિટ ફાળવાશે અને ભૌતિક વિજ્ઞાનના 40 અને રસાયણ વિજ્ઞાનના 40 પ્રશ્નો પૂછાશે. એવી જ રીતે આ બંનેના 40-40 મળીને 80 ગુણ રહેશે. જ્યારે જીવ વિજ્ઞાનના 40 પ્રશ્નો માટે 40 ગુણ હશે અને તેના માટે 60 મિનિટ અપાશે અને ગણિતના પ્રશ્નપત્રમાં પણ 40 ગુણ હશે અને તેના 40 પ્રશ્નોના જવાબ લખવા માટે 60 મિનિટ અપાશે. ત્રણ માધ્યમમાં ગુજકેટ લેવામાં આવશેભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનના પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે એટલે કે 40 પ્રશ્નો ફીઝિક્સ અને 40 પ્રશ્નો કેમેસ્ટ્રીના હશે ઓએમઆર શીટમાં પણ 80 પ્રત્યુતર આપી શકો તે મુજબની રહેશે અને તે માટે બે કલાક ફાળવાશે. જ્યારે જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે તે માટેની OMR આન્સરશીટ અલગ અલગ અપાશે. OMR શીટ પ્રત્યેક વિષય માટે 40 પ્રત્યુતરની રહેશે. ગુજકેટ પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમોમાં અપાશે.
ભાસ્કર ઈનસાઈડ:ચૂંટણીની અસર, 5058 કરોડ માફ કરાવવા નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
જૂથબંધી માટે પંકાયેલા વડોદરાના નેતાઓએ એક થઈ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી સમક્ષ પાલિકાના માથે ચઢેલું પાનમ યોજનાનું 5058 કરોડનું દેવું માફ કરવા રાવ કરી હતી. જેમાં મુખ્યમંત્રીએ રસ્તો કાઢીશું, તેવો પ્રતિભાવ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે નાયબ મુખ્યમંત્રીએ ચૂંટણી આવી છે સાથે કામ કરો, તેવી ટકોર કરી હતી. તમામ ધારાસભ્યો, પાલિકાના 5 અદાધિકારી સાથે મ્યુ. કમિશનર મંગળવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ના. મુખ્યમંત્રી હર્ષ સંઘવી પાસે પહોંચ્યા હતા. જેમાં એક ધારાસભ્યે આગેવાની લઈ તમામ નેતાઓને બોલાવ્યા હતા. જ્યારે ન્યાયમંદિર,સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિતનાં કામો અંગે મુખ્યમંત્રી,ના. મુખ્યમંત્રીએ પ્રત્યુત્તર ન આપ્યો હોવાની માહિતી મળી છે. પાલિકાના માથે પાનમનું દેવું, મુખ્યમંત્રીએ કહ્યું, રસ્તો કાઢીશું2007-08માં સરકારે 900 કરોડનું બિલ મોકલ્યું હતું અને તેમાં વ્યાજ વધી બિલ 5058 કરોડ થયું છે. જે માફ કરાવવા નેતાઓ એક થયા છે. જોકે હમણાં આ વિવાદને કેમ ઉઠાવ્યો તે બાબતે સાથી ધારાસભ્યો માથું ખંજવાળે છે. જાણકારોનું માનવું છે કે વિવાદનો ઉકેલ આવે તો પાલિકાની ચૂંટણીમાં ભાજપની સ્થાનિક નેતાગીરી તનો લાભ લેવાનો પ્રયાસ કરશે તે નક્કી છે.
કાર્યવાહી:સગીર કાર ચાલકને ઓબ્ઝર્વેશન હોમ અને પિતાને ભાવનગર જેલમાં ધકેલાયા
ભાવનગર શહેરના અક્ષરવાડી વિસ્તારમાં ભાડે કાર લઇ અકસ્માત સર્જી મહિલાનું મૃત્યુ નિપજાવનાર સગીર કાર ચાલકની પોલીસે ધરપકડ કરી હતી અને આ ગંભીર બેદરકારી બદલ પોલીસે સગીરના પિતા અને કાર આપનાર કાર માલિકની વિરૂદ્ધ પણ હિટ એન્ડ રનની કલમો ઉમેરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે પગલે પોલીસે સગીર આરોપીને ઓબ્ઝર્વેશન હોમ, સગીરના પિતાની ધરપકડ કરી ભાવનગર જિલ્લા જેલ હવાલે કરાયો છે. ત્યારે કાર માલિક ફરાર થઇ જતાં પોલીસે શોધખોળ શરૂ કરી છે. ભાવનગર શહેરના સાગવાડી વિસ્તારમાં રહેતા બે મહિલાઓ થોડાક દિવસ અગાઉ મોડી રાત્રે જમીને અક્ષરવાડી મંદિર પાસેથી ચાલીને પસાર થઇ રહ્યા હતા. જે દરમિયાન એક સગીર કાર ચાલક તેના મિત્રને બેસાડી, પુરપાટ ઝડપે કાર લઇને પસાર થયો હતો જે દરમિયાન જ સગીર કાર ચાલકે ચાલીને જતા બે મહિલાઓ પૈકી સોનલબેન તેમજ એક સ્કુટી ચાલક યુવતી સાથે કારનો ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માતમાં સોનલબેનનું કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે સ્કુટી ચાલક યુવતી ગંભીર રીતે ઇજગ્રસ્ત થઇ હતી. જે અકસ્માત બાદ નિલમબાગ પોલીસની તપાસમાં નિષ્ક્રિયતા સામે આવતા મૃતકના પરિવારજનો દ્વારા કડક કાર્યવાહીની માંગ કરવામાં આવતા પોલીસની આંખ ઉઘડી હતી. નિલમબાગ પોલીસ દ્વારા સગીરની ધરપકડ કરી, સગીરના ચંદ્રસિંહ જીણકુભા જાડેજા અને ગેરકાયદેસર રીતે કાર ભાડે આપનાર કાર માલિક શક્તિસિંહ જાડેજા વિરૂદ્ધ પણ હિટ એન્ડ રનની ગંભીર કલમનો ઉમેરો કર્યો હતો. જે મામલે સગીરના પિતા ચંદ્રસિંહ જીણકુભા જાડેજાની ધરપકડ કરી જેલહવાલે કરાયો છે. તેમજ કાર માલિક શક્તિસિંહ જાડેજાની શોધખોળ શરૂ કરાઇ છે.
ગોરવામાં રહેતી મહિલા કંડક્ટરનો વિટકોસના ડ્રાઈવર સાથે પ્રેમ સંબંધ હતો. જોકે ડ્રાઈવરનો અન્ય યુવતી સાથે પણ સંબંધ હોવાની જાણ થતાં કંડક્ટરે સંબંધ તોડી નાખ્યા હતા. જે બાદ ડ્રાઈવર પરેશાન કરતો હતો અને મહિલા કંડક્ટરની જ્યાં ડ્યૂટી હોય તે બસમાં પહોંચી જતો હતો. જેથી કંટાળીને મહિલાએ અભયમની સહાય લેતાં ટીમે ડ્રાઈવરનું કાઉન્સેલિંગ કરીને મહિલાથી દૂર રહેવા માટે સમજ આપી હતી. જીએસઆરટીસીમાં કંડક્ટર તરીકે નોકરી કરતાં નેહાબેન (નામ બદલ્યું છે) થોડાં વર્ષો પહેલાં રાહુલના સંપર્કમાં આવ્યાં હતાં. રાહુલ વડોદરા વિટકોસ સિટી બસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે એક વર્ષ પહેલાં નેહાને જાણ થઈ હતી કે, રાહુલનો અન્ય યુવતી સાથે પણ સંબંધ છે. જેથી નેહાએ તેની સાથે સંપર્ક તોડી નાખ્યા હતા અને મોબાઈલમાં રાહુલનો નંબર પણ બ્લોક કરી દીધો હતો. ત્યારબાદ રાહુલ નેહાને પરેશાન કરવા લાગ્યો હતો. નેહાની જે બસમાં નોકરી હોય તેમાં જઈને તેને પરેશાન કરતો હતો. નેહાની કઈ બસમાં ડ્યૂટી છે તે ઓનલાઈન અથવા તો બસ ડેપોના મિત્ર દ્વારા જાણકારી મેળવી લઈને રાહુલ તે બસમાં જતો રહેતો હતો. બીજી તરફ નેહા નોકરી પરથી રજા પણ નહોતી લઈ શકતી, કારણ કે તેની અવેજમાં કોઈ અન્ય કંડક્ટર નહોતો. ઘણા સમયથી રાહુલ નેહાને પરેશાન કરતો હતો. ઉપરાંત તે નેહાને ધમકી આપતો હતો કે, તું અન્ય સાથે લગ્ન કરીશ તો તારા ફોટા સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દઈશ. જેને કારણે નેહાએ છેવટે અભયમની સહાય લીધી હતી. અભયમની ટીમ બસ ડેપો પર પહોંચી હતી અને રાહુલનું કાઉન્સેલિંગ કરી સમજાવ્યું કે, મહિલાને પરેશાન કરવી તે કાયદાકીય ગુનો છે. જેથી ડ્રાઈવરે ખાત્રી આપી કે, હવે હેરાનગતિ નહીં કરું. મહિલાએ લોન લઈને મોપેડ લઈ આપ્યું હતુંમહિલાએ લોન લઈને મોપેડ લઈ આપ્યું હતું, જે અભયમે પરત અપાવ્યું નેહા અને રાહુલ વચ્ચે પ્રેમ સંબંધ હોવાને કારણે નેહાએ તેના નામ પર લોન લઈને રાહુલને મોપેડ લઈ આપ્યું હતું. જેના હપ્તા પણ નેહા જ ભરતી હતી. નેહાએ આ વિશે અભયમને જાણ કરી હતી. જેથી અભયમે રાહુલ પાસેથી મોપેડ પરત અપાવ્યું હતું.
મેગા ડિમોલેશન:હાઇવેના કામમાં લોલમલોલનો આ રહયો પુરાવો
વલભીપુરથી પસાર થતો ભાવનગર અમદાવાદ હાઇવે જે વલભીપુરથી બરવાળા સુધી 30 કિ.મી.જેટલો છે અને આ 30 કિ.મી.હાઇવે વચ્ચે આવતા નદી નાળા ઉંચા કરવાનું કામમંથર ગતિએ ચાલે છે તેના કારણે કટકે કટકે વલભીપુરથી મુળધરાઇ સુધીના હાઇવેને ફોરલેન બનાવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આ ફોરલેન હાઇવેના નવીનીકરણનું કામ જયારે શરૂ હતું ત્યારે જ નબળા કામ અંગેની વ્યાપક ફરીયાદો ખુદ શાસક ભા.જ.પ.ના કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી 8 થી 9 કિ.મી. ફોરલેન હાઇવે નવો કરવામાં આવ્યાને એક વર્ષ પણ નથી થયું ત્યાં તો ઠેર ઠેર ગાબડાઓ પડવા લાગ્યા છે.લીમડાના ઢાળ પાસે બનાવેલ પુલ ઉપરના લોખંડના સળીયાઓ બહાર નીકળી ગયા હતાં તે નબળા કામને ઢાક પીછાડો કરીને ફરી સીમેન્ટ કોક્રીંટ કરીને ગેરરીતિ દબાવી દીધી હોય તેમ ત્યાં લીમડાના ઢાળથી નવાગામના ઢાળ સુધી હાઇવે પર મસમોટા ખાડાઓ પડવા લાગ્યા છે.હવે આ હાઇવે કેટલા વર્ષ અને કેવો રહેશે તે એક સવાલ છે.
માગ:સિહોરમાં ઉથરેટીમાં કચરો સળગાવાનું બંધ ન કરાતા પ્રાદેશિક કમિશ્નરને રજૂઆત
હજુ થોડા દિવસો પહેલા વિપક્ષ દ્વારા ઉથરેટીની જગ્યામાં પ્લાસ્ટિક કચરો સળગાવવાની બેદરકારી ખુલ્લી પાડ્યા બાદ પણ હજુ સ્થિતિમાં સુધાર ન આવતા વિપક્ષ દ્વારા પ્રદુષણ બોર્ડ તેમજ પ્રાદેશિક કમિશ્નરમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે. વિપક્ષનેતાએ પ્રદૂષણ બોર્ડમાં નિયમોનું ઉલ્લંઘન થતું હોવાની ફરિયાદ કરેલ જેને લઈને પ્રદૂષણ બોર્ડ દ્વારા સિહોર નગરપાલિકાને નોટિસ પણ આપવામાં આવેલ. તંત્ર દ્વારા આ બાબતે ગંભીરતા દાખવ્યા વગર હજી પણ કચરો સળગાવવાનું શરૂ જ છે. વળી વિપક્ષ નેતાએ અગાઉના લેગસી વેસ્ટના કામમાં ગેરરીતિ થઇ હોય જે અંગે વિજિલન્સ તપાસની માંગણી કરેલ હોય તેમજ ગત સાધારણ સભામાં પણ હાલની સ્થિતિ અંગે પંચરોજકામ કરવાનું સર્વાનુમતે ઠરાવ થયા બાદ પંચરોજકામ થાય એ પહેલાં આ કચરો સળગાવીને ગત પુરાવાઓનો નાશ કરવાનો પણ પ્રયત્ન થઈ રહ્યો હોવાનો વિપક્ષએ આક્ષેપ કર્યો હતો. જોવાનું એ રહ્યું કે હવે ઉચ્ચ અધિકારીના આદેશનું પાલન થાય છે કે કેમ? ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટના કેમિકલથી પણ ખતરોઉથરેટીની જગ્યાના સ્થળે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટનું કેમિકલ મોટા પ્રમાણમાં હોય ગમે ત્યારે બ્લાસ્ટ થઈ મોટી દુર્ઘટના બનવા પણ સંભવ હોય આ અંગે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરી જવાબદારો વિરુદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા પણ વિપક્ષ દ્વારા પ્રદેશિક કમિશ્નર રજુઆત કરવામાં આવી છે.
ગ્રાઉન્ડ રિપોર્ટ:પોલીસ સ્ટેશનના શૌચાલયમાં દારૂની પોટલીઓ,ગંદકી અને હેલ્પ ડેસ્ક બંધ
સાહિલ પંડ્યાકેન્દ્રીય ગૃહ મંત્રાલયની બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની ટીમે 14 દિવસ પૂર્વે 9 પોલીસ મથકનો સરવે કર્યો હતો. પોલીસને મળતાં ફંડનો ઉપયોગ, લોકો સાથેનું વર્તન, સ્વચ્છતા સહિતના મુદ્દે સરવે કરાય છે. તે પછી દેશનાં તમામ પોલીસ સ્ટેશનમાંથી શ્રેષ્ઠનું રેન્કિંગ બહાર પડાશે.ભાસ્કરે 4 પોલીસ મથકમાં પેરેલલ ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. જેમાં ગંદકી, શૌચાલયની બારીમાં દારૂની પોટલીઓ, મહિલા હેલ્પ ડેસ્ક બંધ જોવા મળ્યું હતું. આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીએ કશું કહેવાનો ઈન્કાર કર્યો હતો. નવાપુરા પોલીસ સ્ટેશન: પરિસરમાં કામગીરી ચાલે છે. પોલીસે કબ્જે કરેલાં વાહનોની સ્થિતિ ખૂબ ખરાબ છે. આ વાહનોને એકબીજાની ઉપર ચડાવી દેવામાં આવ્યાં હોવાનું જોવા મળ્યું હતું. કારેલીબાગ પોલીસ }કારેલીબાગ પોલીસ મથકના પુરુષ શૌચાલયની બારીમાં દારૂની પોટલીઓ જોવા મળી. } પરિસરમાં ગુટકાની પિચકારીઓ હતી. પીવાના પાણી માટેની કેબિન જ ધૂળ ખાતું હતું. આ પોલીસ સ્ટેશનમાં સરવે કરાયો હતો } વાડી પોલીસ સ્ટેશન } નવાપુરા પોલીસ સ્ટેશન } જવાહરનગર પોલીસ સ્ટેશન } નંદેસરી પોલીસ સ્ટેશન } બાપોદ પોલીસ સ્ટેશન } સિટી પોલીસ સ્ટેશન } કારેલીબાગ પોલીસ સ્ટેશન } રાવપુરા પોલીસ સ્ટેશન } અકોટા પોલીસ સ્ટેશન સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે, શહેરનાં 12 પોલીસ સ્ટેશનમાં સેન્ટ્રલની ટીમ સરવે કરવાની હતી. જોકે 3 પોલીસ સ્ટેશનના પીઆઈએ સરવે માટે ઈન્કાર કરી દીધો હતો. જેથી શહેરનાં 9 પોલીસ સ્ટેશનનો જ સરવે કરવામાં આવ્યો હતો. પીઆઈ દ્વારા આ સરવે કેન્સલ કેમ કરવામાં આવ્યો તે પણ તપાસનો વિષય ૌ
વિવાદ:પતિએ નશો કરી માતા-પિતા સાથે સંપ કરી પત્નિને ઢોર મારમાર્યો
ગારિયાધારના સાતપડા ગામે સાસરૂ ધરાવતી પરિણીતાને તેના પતિએ નશો કરી, ઘરે આવી કરીયાવર બાબતે પત્નિને મારમર્યો હતો જે બાદ સાસુ તેમજ સસરા સહિત પતિનો સાથ આપી ઘરેથી કાઢી મુકતા પરિણીતાએ પતિ સહિત ચાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. ગારિયાધારના બેલા રોડ ઉપર પિયર અને સાતપડા ગામે સાસરુ ધરાવતા ઇલાબેન અશ્વિનભાઇ વિરાશએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, અઢી વર્ષ અગાઉ તેમના સમાજના રિત રિવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્નના બેથી ત્રણ માસ બાદ જ તેમના સાસુ અને સસરા અને પતિએ અવાર નવાર તેમના પિયરમાં પિતાને ફોન દ્વાર કરિયાવર બાબતે મેણા ટોણા મારી, પતિ નશો કરી, પરિણીતાને ઢોર મારમારતો હતો. જે દરમિયાન ફરી પતિએ નશો કરી, ઘરે આવ્યો હતો અને ઇલાબેન સાથે ઝઘડો કરવા લાગતા તેમના સાસુ અને સસરાએ પણ પતિને સાથ આપી, આજે તો તને જીવતી નથી છોડવાની તેમ કહી, ઇલાબેનને ગંભીર મારમારી, મારી નાંખવાનો પ્રયાસ કરી, ઘરેથી કાઢી મુક્યા હતા. જે બાદ ઇલાબેન વિરાશે મહિલા હેલ્પલાઇન 181નો સહારો લેતા મહિલા પોલીસે સાસરીયાઓને સમજાવવા છતાં પણ સાસરીયાઓએ પરિણીતાને તેડી જવાની ના પાડતા આખરે ઇલાબેન વિરાશ દ્વારા મહિલા પોલીસ મથકમાં પતિ અશ્વિન માધાભાઇ વિરાશ, સાસુ લીલાબેન માધાભાઇ વિરાશ, સસરા માધાભાઇ નાનજીભાઇ વિરાશ, ભીખાભાઇ હમીરભાઇ વિરાશ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
કામગીરી:વલભીપુર શહેર અને તાલુકામાં વિકાસના કામો ફટાફટ શરૂ થયા
વલભીપુર શહેર અને તાલુકામાં વિકાસના કામોના લોકાપર્ણ અને ખાત મુર્હૂતઓ ભારે ગતિ પકડી છે શહેર અને ગ્રામ્ય પંથકોમાં રોડ,કોઝવે નવા પુલો સહિતના કામોના મંડાણ શરૂ થઇ ગયા છે. વલભીપુર શહેરમાં નગરપાલીકાની સામાન્ય ચુંટણીને હવે સત્તાવાર રીતે બે મહિના રહ્યાં છે આ રીતે તાલુકા પંચાયતની સમય અવધી પણ પૂર્ણ થવા આવી છે. જો સર ના કારણે નવી મતદાર યાદી મુજબ સ્થાનીક સ્વરાજની ચુંટણી યોજવાનું આયોજન રાજય ચુંટણી પંચ નક્કી કરશે તો સંભવીત રીતે માર્ચ-એપ્રીલ મહિનામાં ચુંટણીની તારીખો જાહેર થઇ શકે છે ચુંટણી ભલે ગમે ત્યારે યોજાય પરંતુ તેની અસરના કારણે હાલ વલભીપુર શહેરજનો અને ગ્રામ્ય પંથકના ગ્રામજનોને વિકાસના કામોનો લાભ મળવાનું શરૂ થઇ ગયું છે. શહેરમાં નવા સી.સી.રોડ બ્યુટીફીકેશન માટે નવા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો, ગટરના કામો પુરજોશમાં શરૂ થઇ ગયા છે. મતદારોને ચૂંટણીમાં મોઢુ દેખાડી શકવાનો પ્રયાસ !ગ્રામ્ય વિસ્તારોમાં પણ જે ગામોમાં રસ્તાઓ,કોઝવે અને પીવાના પાણી માટેની પાઇપ લાઇનો,ડામર રોડનું રીકાર્પેટીંગ કામ અલગ અલગ ગામાએ શરૂ થઇ ગયું છે. તો અમુક ગામોમાં ધારાસભ્ય મહંત શંભુનાથ ટુંડીયાના હસ્તે ખાત મુર્હૂતો થયા છે.સ્થાનીક સ્વરાજની ચુંટણી ગમે ત્યારે આવી પડે તો મતદારોને મોઢુ દેખાડી શકાય તેવો માહોલ ઉભો થયો છે.
ગુજરાતના કંઠાળ વિસ્તારના વિકાસને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા વિવિધ જાહેરાતો કરવામાં આવે છે. અગાઉ પ્રવાસન વર્ષ નિમિત્તે મહુવા બંદરના વિકાસની વાતો જાહેર થઇ આજ સુધી મહુવા બંદરનો કોઇ વિકાસ થયો નથી.100 ટકા નિકાસલક્ષી ઉદ્યોગો ધરાવતુ મહુવા બંદરના વિકાસની આશા વર્ષોથી રાખી રહ્યુ છે. મહુવા-મુંબઇ વચ્ચે દરીયાઇ અંતર 210 નોટીકલ માઇલ આસપાસ છે અને મહુવા-સુરતનું દરીયાઇ અંતર 115 નોટીકલ માઇલ આસપાસ છે. આથી કિ.મી.ની દ્રષ્ટિએ મહુવા-મુંબઇ દરીયાઇ માર્ગે 215 કિ.મી. અને સુરત 175 કિ.મી.ની આસપાસ થતુ હોય મહુવા-સુરત-મુંબઇ વચ્ચે દરીયાઇ વાહન વ્યવહાર શરૂ થાય તેવી પણ અપેક્ષા છે બંદરોને જોડતી રેલ્વે લાઇનના ભાવી આયોજનમાં મહુવાનો સમાવેશ થયેલો છે. જો રેલ્વેનું આયોજન અમલમાં આવે તે પહેલા મહુવા બંદરનો વિકાસ કરવામાં આવે તે જરૂરી છે. બંદરના વિકાસ માટે એક રૂપિયો પણ ખર્ચાયો નથી!આયોજન પંચ દ્વારા ગુજરાતના 1600 કિ.મી. લાંબા દરિયા કિનારા ઉપર આવેલ 17 બીચ પસંદ કરી ગુજરાતના કંઠાળ પ્રવાસનનો વિકાસ કરવા 1200 કરોડનું ભંડોળ મંજુર કર્યુ હતું આથી મહુવા બંદરનો વિકાસ કરવાની માંગ પ્રબળ બની હતી.પણ મહુવા બંદરના વિકાસ માટે એક પણ કાવડીયું હજુ સુધી ખર્ચાણું નથી!
ગત ઓક્ટોબરમાં શરૂ થયેલી સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝનની કામગીરીમાં પાલિકાના 1125 કર્મીઓ રોકાતાં પાણી, ડ્રેનેજ અને રોડ સહિત લોક સુવિધાનાં કામો ઘોંચમાં પડ્યાં છે. વિકાસનાં કામોમાં નાણાકીય સમર્થન, ટેન્ડરિંગ પ્રક્રિયા અને બજેટની તૈયારીનાં કામોને પણ અસર થઈ છે. સાથે વિવિધ ઝોન અને વોર્ડના વાર્ષિક કોન્ટ્રાક્ટનાં કામો પણ અટવાયાં છે. પાલિકાના સિનિયર ક્લાર્ક, ક્લાર્ક, મલ્ટિપર્પઝ વર્કર, મહિલા હેલ્થ વર્કર સહિત 1125 કર્મી દોઢ મહિનાથી SIRના કામમાં રોકાયાં છે. જેથી પાલિકામાં વિકાસનાં કામોની ગતિ ધીમી પડી છે. પાલિકાની ચૂંટણી યોજવાની શક્યતા વચ્ચે કાઉન્સિલરો આપેલાં સૂચનોને આધારે પાણી, ડ્રેનેજ અને રોડ સહિતનાં પાયાની સુવિધાનાં કામોમાં નાણાકીય સમર્થનની નોંધ, ખર્ચની નોંધ તેમજ આકારણી અને ફરિયાદની અરજીનો નિકાલ અટવાયો હતો. જોકે દોઢ મહિના બાદ સોમવારે તમામ 1125 કર્મીને કામમાંથી મુક્તિ આપતાં 1 મહિનાથી અટવાયેલી કામગીરી શરૂ થશે. આકારણી વિભાગ } વેરાની વસૂલાતની કામગીરી રોકાઈ } નામ ફેર, વેરાની વાંધા અરજી, નવી આકારણી આંકવાની કામગીરીમાં વિલંબ } આકારણીમાં સુધારા અટવાયા એકાઉન્ટ વિભાગ } 22 ક્લાર્કની ગેરહાજરીથી વિકાસનાં કામોના નાણાકીય સમર્થનની કામગીરીમાં વિલંબ } નાણાકીય સમર્થનની નોંધ ન કરાતી હોવાથી ટેન્ડરિંગ પ્રક્રિયા અટવાઈ } વિકાસનાં કામોનાં બિલનાં ચુકવણાં રોકાયાં રોડ-પાણી-ડ્રેનેજ } ઝોન અને દરેક વોર્ડના 10થી કર્મચારીઓની ગેરહાજરીથી વાર્ષિક કોન્ટ્રાક્ટનાં કામોમાં 15થી 20 દિવસનો વિલંબ }ટેક્નિકલ કામની ફાઈલો રોકાતાં કામો શરૂ ન થયાં પાણી પુરવઠા અને ઓડિટના 20 અધિકારી અને કર્મીઓને એસઆઇઆર માટે ઓર્ડર અપાયાપાલિકામાં પહેલેથી જ મહેકમ ઓછું છે અને સ્ટાફના અભાવે કામોમાં વિલંબ થતો હોવાની ફરિયાદો વાંરવાર ઊઠતી હોય છે. તેવામાં પાલિકાના 1125 કર્મચારીઓ છેલ્લા દોઢ મહિનાથી બીએલઓની કામગીરીમાં રોકાયા હતા. આખરે સોમવારે તેઓને કામગીરીમાંથી મુક્ત કરાયા છે ત્યારે હવે પાણી પુરવઠા સહિતના વિભાગના ઇજનેરો તથા ઓડિટ વિભાગના સ્ટાફને SIRની કામગીરી માટેના ઓર્ડર કરાયા છે.
હિમાલય ક્ષેત્રમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શરૂઆત થઈ ગઈ છે, જેને લીધે ઠંડીની તીવ્રતા પણ વધી રહી છે. જ્યારે 15મી ડિસેમ્બરે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ ગયા બાદ 17મીના રોજ અન્ય એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલય ક્ષેત્રમાં આવી રહ્યું છે. આમ આ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વચ્ચેના ગેપમાં ઉત્તરના ઠંડા પવનો વડોદરા સુધી પહોંચતાં શહેર મંગળવારે ઠંડુગાર બની ગયું હતું. 11.8 ડિગ્રી સાથે મંગળવારે ડિસેમ્બર મહિનાનો કોલ્ડેસ્ટ ડે નોંધાયો હતો. શહેરમાં મંગળવારે વહેલી સવારે ઠંડીની સાથે ખુલ્લા વિસ્તારોમાં ધુમ્મસનું પ્રમાણ પણ જોવા મળ્યું હતું. જ્યારે વિઝિબિલિટી પણ 500 મીટરથી ઓછી નોંધાઈ હતી. એકાએક ઠંડી વધતાં લોકોને સ્વેટર સહિત ગરમ કપડાં પહેરવાં પડ્યાં હતાં. જ્યારે લોકોએ તડકો શેકીને ઠંડી દૂર કરી હતી. હવામાન વિભાગના આંકડા અનુસાર, શહેરમાં મંગળવારે મહત્તમ તાપમાનનો પારો 29.2 ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો 11.8 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે આગામી 3 દિવસમાં પારો 16 ડિગ્રી જવાની શક્યતા છે. ડિસેમ્બર-2024માં પારો 10 ડિગ્રી પર પહોંચ્યો હતો 2021 10.4 ડિગ્રી (22 ડિસેમ્બર) 2022 10.6 ડિગ્રી (24 ડિસેમ્બર) 2023 14.6 ડિગ્રી (23 ડિસેમ્બર) 2024 10.0 ડિગ્રી (14 ડિસેમ્બર) 2025 11.8 ડિગ્રી (16 ડિસેમ્બર) સમય તાપમાન AQI સવારે 6 12 ડિગ્રી 270 સવારે 7.30 11.8 ડિગ્રી 202 સવારે 8 13 ડિગ્રી 312 સવારે 10 21 ડિગ્રી 231 બપોરે 12 27 ડિગ્રી 139 સાંજે 2 28 ડિગ્રી 155 સાંજે 4 29 ડિગ્રી 121 સાંજે 6 25 ડિગ્રી 152 ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં મોટાભઆગે ઠંડીની તીવ્રતા અચાનક વધતી હોય છે. જેનું મુખ્ય કારણ ઉત્તરના ઠંડા પવનો હોય છે. ચાલુ વર્ષે પણ 25મી પછી ઠંડીની તીવ્રતા શક્યતા છે. શહેરમાં કેટલાક મહિનાથી પ્રદૂષણને લઈ તંત્ર ચિંતિત છે. શહેરમાં મંગળવારે સવારે 8 વાગે સૌથી વધુ 312 એક્યુઆઈ નોંધાયો હતો. ત્યારબાદ પ્રદૂષણનું સ્તર ઘટતું જોવા મળ્યું હતું. જોકે નંદેસરી, મકરપુરા સહિતના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર 300થી 400 સુધી રહે છે. સવારે 7.30 કલાકે તાપમાન 11.8 અને AQI 202 નોંધાયો, સૌથી વધુ 8 વાગે 312 થયોેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ જતાં ઉત્તરના ઠંડા પવનો ફૂંકાતાં વડોદરામાં ઠંડીનો પારો 11.8 ડિગ્રી નોંધાયો છે. જ્યારે 17મીના રોજ પણ 12 ડિગ્રી સુધી ઠંડીનો પારો નોંધાશે. આ ઉપરાંત આગામી 3 દિવસ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ઠંડા પવનો રોકાઈ જતાં વડોદરામાં ઠંડીનો પારો 16 ડિગ્રી સુધી પહોંચી જશે. ત્યારબાદ ઠંડીની તીવ્રતા પાછી વધશે. બીજી તરફ 21મી ડિસેમ્બરથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બરફ વર્ષા કરાવશે. ત્યારબાદ ઠંડીની તીવ્રતામાં ફરી વખત વધારો થવાની શક્યતા છે. એક્સપર્ટ મુકેશ પાઠક, હવામાન શાસ્ત્રી
આર.ટી.ઓ.નું સઘન ચેકીંગ:ભાવનગર શહેરની ખાનગી શાળાઓ બહાર 40 સગીર ચાલકો ટુ-વ્હિલર સાથે ઝડપાયા
ભાવનગર શહેરમાં થોડાક સમય અગાઉ એક સગીર કાર ચાલકે પુરપાટ ઝડપે કાર ચલાવી એક મહિલાને મોતને ઘાટ ઉતારી દેતા શહેર તેમજ જિલ્લામાં કાર ચાલક સગીર વિરૂદ્ધ ભારે રોષ જોવા મળ્યો છે. જેને લઇને ભાવનગર કલેક્ટર દ્વારા પણ આર.ટી.ઓ. તેમજ ભાવનગર શહેર જિલ્લામાં કડક વાહન ચેકીંગ કરવા માટે આદેશ અપાયા છે. જેને લઇને ભાવનગર જિલ્લા આર.ટી.ઓ. દ્વારા ત્રણ જેટલી ટીમો બનાવી શહેરની ખાનગી શાળાઓ બહાર કડક હાથે ચકીંગ શરૂ કરાયું છે. ત્યારે આજે એક જ દિવસમાં ચાલીસ સીગર વિદ્યાર્થીો બાઇક સાથે ઝડપાઇ જતાં, સગીરના વાલી વિરૂદ્ધ મોટર વ્હિકલ એક્ટ મુજબ કડક હાથે કાર્યવાહી હાથ ધરાઇ છે. શહેરના અક્ષરવાડી નજીક થયેલા ગમખ્વાર અકસ્માતને લઇને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. શહેર જિલ્લામાં અસમાજીક તત્વો તેમજ નબીરાઓ દ્વારા પુરપાટ ઝડપે વાહનો ચલાવી, નિર્દોષ રાહદારોનો ભોગ લઇ રહ્યા છે. જેને લઇને ભાવનગર કલેક્ટર દ્વારા બેફામ વાહન ચાલકો વિરૂદ્ધ કડક કાર્યવાહીના આદેશ અપાયા છે. જે અંતર્ગત આજે ભાવનગર આર.ટી.ઓ. દ્વારા જુદી જુદી ત્રણ ટીમોની રચના કરવામાં આવી હતી અને શહેરના શિક્ષણ સમા એવા કાળિયાબીડ વિસ્તારમાં આવેલી જ્ઞાનમંજરી, સરદાર પટેલ તેમજ ઓજ સ્કુલ નજીક આર.ટી.ઓ. વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન શાળાએ ટુ- વ્હિલર લઇને આવેલા 40 સગીર વિદ્યાર્થીઓને રોકી, તેમના વાલીઓ વિરૂદ્ધ મોટર વ્હિકલ એક્ટ મુજબ કલમ 199એ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આર.ટી.ઓ. દ્વારા લાઇસન્સ વગર આવતા 40 વિદ્યાર્થીઓને મેમા ફટકારી દંડ કરાયો હતો. જિલ્લા શિક્ષણાધિકારીને RTO દ્વારા પત્ર લખાયોભાવનગર જિલ્લા શિક્ષણ અધિકારીને ભાવનગર જિલ્લા આર.ટી.ઓ. દ્વારા એક લેખિત પત્ર લખવામાં આવ્યો છે. અને આ પત્રમાં ખાનગી શાળામાં કોઇપણ સગીર વિદ્યાર્થી બાઇક લઇને ન આવવા જણાવાયું છે. તેમજ શાળા સંચાલકોને પણ સગીર વિદ્યાર્થીઓને બાઇક લઇને ન આવવા દેવા માટે વાલીઓને પણ સુચના આપવામાં આવે તેમ જિલ્લા શિક્ષણ અધિકાારી દ્વારા શાળા સંચાલકોને આદેશ કરાયો છે.
થરાદ સ્થિત સુદંબરી આશ્રમમાં 42 ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ (વાવ–થરાદ–દિયોદર ગોળ)ની સામાન્ય સભા યોજાઈ હતી. સમાજમાં વધતા જતા ખર્ચાળ રિવાજો, તૂટતા સગપણ અને સામાજિક અશિસ્ત રોકવા માટે સુસંગઠિત સામાજિક બંધારણ ઘડીને સર્વસંમતિથી અમલમાં મૂકવામાં આવ્યો હતો. જેમાં સમાજ માટે ઘડાયેલા બંધારણ મુજબ સગપણ તૂટે તો સમાજ પંચ દ્વારા બંને પક્ષોને સાંભળી લીધા બાદ દોષિત પક્ષ પર રૂપિયા 5,00,000 દંડ ફરજિયાત રહેશે. લગ્ન થયા બાદ છૂટાછેડાની સ્થિતિ સર્જાય તો દોષિત પક્ષ પાસેથી રૂપિયા 10,00,000 દંડ વસૂલ કરવામાં આવશે. સમાજની દીકરીનું લગ્ન સમાજમાં જ કરવાનું રહેશે. દીકરીની સગાઈ 18થી 20 વર્ષની ઉંમર વચ્ચે કરવી ફરજિયાત રહેશે. સમાજની દીકરી બ્રાહ્મણ સિવાય અન્ય જાતિમાં લગ્ન કરે તો તે દીકરીના પરિવાર સાથે સમાજ દ્વારા કોઈપણ પ્રકારનો સામાજિક સંબંધ રાખવામાં નહીં આવે. દંડ ચૂકવી સમાજમાં પ્રવેશ મળી શકશે, પરંતુ જાહેર સામાજિક પ્રસંગોમાં ભાગ લેવાની મંજૂરી નહીં મળે. લગ્ન પ્રસંગોમાં પ્રી-વેડિંગ, રિંગ સેરેમની, હળદી રસમ, કંકુ-પગલા જેવા ખર્ચાળ કાર્યક્રમો પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ પ્રકારના કાર્યક્રમો કરનારને રૂપિયા 1,00,000 દંડ ફરજિયાત રહેશે . રિંગ સેરેમની માટે રૂપિયા 51000, હળદી માટે રૂપિયા 51,000 અને કંકુ-પગલા માટે રૂપિયા 51,000 દંડ વસૂલાશે. સગાઈ કે લગ્ન માટે જતા સમયે 25થી વધુ માણસો નહીં અને જાનમાં 100થી વધુ માણસો નહીં જોડાશે. સારા-નરસા દરેક પ્રસંગોમાં ઓઢામણા પ્રથા સંપૂર્ણ બંધ રહેશે. મૃત્યુ પ્રસંગે ચોથો દિવસ શક્ય હોય તો રવિવાર કે જાહેર રજાના દિવસે રાખવો અને તે દિવસે જમણવાર બંધ રહેશે. બારમાના દિવસે સગા-સંબંધીઓને ભોજન કરાવવાનું રહેશે. ભોજન પ્રસાદ ફરજિયાત નથી સમાજને મળતી દાન-ભેટની રકમ માત્ર 42 ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજના પંચ ખાતામાં જ જમા કરાવવાની રહેશે. આ તમામ નિયમો સમાજના વડીલોના આશીર્વાદથી સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યા. સમાજની બેઠકમાં પ્રવીણભાઈ ત્રિવેદી, જયંતીલાલ ઓઝા, હસમુખલાલ ત્રિવેદી, કીર્તિલાલ ઓઝા, પ્રકાશભાઈ ઓઝા સહિત જુદા જુદા ગામોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
મોત:ગુજરવાડા પાસે ગાડીની ટક્કરે સમી કોર્ટના ક્લાર્કનું મોત થયું
સમી કોર્ટના ક્લાર્કનું ગુજરવાડા ગામ નજીક માર્ગ અકસ્માતના મોત થવાં પામ્યું છે.જેને પગલે મૃતકના ભાઈએ સમી પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પાટણના સમી તાલુકાના મુબારકપુરા ગામના અને સમી કોર્ટમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા દિલીપભાઈ સિંધવનું ગતરોજ સાંજે માર્ગ અકસ્માતમાં કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ કાર ચાલક વાહન લઈને નાસી છૂટ્યો હતો.
આજે કેબિનેટ બેઠક યોજાશે:ગુજરાતમાં પ્રેમલગ્ન કરનારા યુગલો માટે સરકારની નવી તૈયારી
ગુજરાતમાં લગ્ન રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં સંભવિત ફેરફારને લઈને ચર્ચા તેજ બની છે. સરકાર લગ્ન નોંધણી માટે 30 દિવસની ફરજિયાત પૂર્વ સૂચના લાગુ કરવાની દિશામાં વિચારણા કરી રહી છે. આજની કેબિનેટ બેઠકમાં આ મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. લગ્નોને કારણે સામાજિક તણાવ અને કાનૂની વિવાદો વધ્યાપાટીદાર સમાજ દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. પાટીદાર સમાજનું માનવું છે કે અચાનક લેવાતા નિર્ણયો, પ્રેમલગ્ન અને પરિવારની જાણ વિના થતા લગ્નોને કારણે સામાજિક તણાવ અને કાનૂની વિવાદો વધી રહ્યા છે. તેથી લગ્ન રજિસ્ટ્રેશન પહેલાં યોગ્ય સમયમર્યાદા રાખવી જરૂરી હોવાનું સમાજ દ્વારા રજૂઆતમાં જણાવાયું છે. કેબિનેટ મંજૂરી બાદ નોટિફિકેશન જાહેર કરાશેસરકારી વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ, જો સરકાર આ ફેરફારને માત્ર નિયમ (Rules) સુધી મર્યાદિત રાખે, તો કેબિનેટ મંજૂરી બાદ નોટિફિકેશન જાહેર કરીને તરત અમલમાં મૂકી શકાય છે. પરંતુ જો આ જોગવાઈ હિંદુ મેરેજ એક્ટમાં સમાવવાની હોય, તો વિધાનસભામાં બિલ લાવી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. ગેરરીતિ અને દબાણ હેઠળ થતા લગ્નો અટકાવવાનો સરકારનો દાવોનવા નિયમથી એક તરફ ગેરરીતિ અને દબાણ હેઠળ થતા લગ્નો અટકાવવાનો સરકારનો દાવો છે, તો બીજી તરફ પ્રેમલગ્ન કરનારા યુગલો માટે તરત કાનૂની માન્યતા મેળવવી મુશ્કેલ બની શકે છે. પાટીદાર સમાજની રજૂઆત બાદ હવે આ મુદ્દો સામાજિક તેમજ રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે. હવે સૌની નજર આજની કેબિનેટ બેઠક પર ટકેલી છે, જ્યાંથી નક્કી થશે કે સરકાર લગ્ન રજિસ્ટ્રેશનમાં વહીવટી ફેરફાર કરશે કે પછી કાયદામાં સુધારા તરફ આગળ વધશે.
ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં ગઇકાલે તમે વાંચ્યું કે જાંબુઘોડા નજીક સૂમસાન રસ્તા પર એક બાઇકને પીક એપ ડાલાએ ટક્કર મારી હતી. જેમાં બાઇક પર સવાર એક યુવતી ઇજાગ્રસ્ત થઈ હતી જ્યારે તેના પિતા ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા. પોલીસ જેને શરૂઆતના સમયે અકસ્માતનો કેસ ગણતી હતી, થોડા જ કલાકોમાં સ્પષ્ટ થઈ ગયું કે એક તરફી પ્રેમ પ્રકરણમાં હદ વટાવી ચૂકેલા યુવકે જાણી જોઈને કરેલું આ કારસ્તાન છે. ઇજાગ્રસ્ત યુવતી હોસ્પિટલમાં દાખલ હતી. તેને અકસ્માત કરનાર વાહનનો નંબર યાદ હતો. જ્યારે આ વાહનમાલિકના નામનો ખુલાસો થયો તો પીડિત યુવતી સ્નેહા છક રહી ગઈ. તેણે પોતાના જૂના પ્રેમી વિશે ખુલાસા કરવાના શરૂ કર્યા. હવે આગળનો ઘટનાક્રમ વાંચો…બોડેલીની ઓર્થોપેડિક હોસ્પિટલનો રૂમ અચાનક તંગ બની ગયો હતો. સ્નેહાએ આંસુ લૂછ્યા અને ધીમા પણ સ્પષ્ટ અવાજે બોલવાનું શરૂ કર્યું, સાહેબ, આ અકસ્માત નથી. મને લાગે છે... આમાં મારા પિતાને જાણીજોઈને મારવામાં આવ્યા છે. આટલું બોલીને તે ચૂપ થઈ ગઈ. PSI ચુડાસમાએ માથું ધુણાવ્યું અને કહ્યું,બોલ બેટા, તું ડરીશ નહીં. તારે જે કહેવું હોય એ બિન્દાસ્ત કહી દે. સ્નેહાએ ઊંડો શ્વાસ લીધો અને પોતાના હૃદય પરનો વર્ષો જૂનો બોજ હળવો કરવાનું શરૂ કર્યું, સર, મારા જ ગામનો એક છોકરો, તેનું નામ કૃષ્ણકાંત રાઠવા. બે વર્ષ પહેલાં અમારો પ્રેમસંબંધ હતો. અમે ફોન પર વાતો કરતા. ધીમે-ધીમે અમારા ઘરના લોકોને આ વાતની જાણ થઈ ગઈ... સ્નેહાએ છ મહિના પહેલાં બનેલી એક ગંભીર ઘટના યાદ કરી. સર છ મહિના પહેલાની વાત છે. હું બોડેલીમાં કોમ્પ્યુટર ક્લાસ કરતી હતી. એક દિવસ કૃષ્ણકાંત મોટરસાયકલ લઈને ત્યાં આવ્યો. તેણે મને ડરાવીને ધમકી આપી અને કહ્યું,હું ઘરે જાઉં છું, મોટરસાયકલ પર બેસી જા. જો નહીં બેસે તો હું તને જાનથી મારી નાખીશ. હું તેનાથી ખૂબ ડરી ગઈ હતી અને ન છૂટકે તેની મોટરસાયકલ પર બેસી ગઈ. સ્નેહાની આંખોમાં એ ઘટનાનો ડર ફરી છલકાયો છતાં તેણે વાત ચાલુ રાખી. પણ સાહેબ, તે મને ઘરે લઈ જવાને બદલે મોટરસાયકલ પાવાગઢ તરફ લઈ ગયો. અમે છાજદીવાળી ગામે પહોંચ્યા. મને ગભરામણ થવા લાગી, એટલે મેં જોર જોરથી બૂમાબૂમ કરી. “મારી બૂમો સાંભળીને રસ્તે જઈ રહેલા એક બસચાલકે બસ ઊભી રાખી. તે બસચાલકની મદદથી હું સલામત રહી અને બસમાં બેસીને જાંબુઘોડા આવી. મેં બસચાલકને મારા પિતાનો નંબર આપ્યો. પિતા તુરંત જાંબુઘોડા આવ્યા અને મને ઘરે લઈ ગયા.” આ ગંભીર બનાવ પછી આખો મામલો ગામમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ગામના પંચરાહે સમાધાન માટે બેઠક થઈ. આ સમાધાન માત્ર સમજૂતી નહોતી, પણ સ્ટેમ્પ પેપર પર લખાયેલી શરતો હતી. પંચરાહે સમાધાન થયું, જેમાં સ્પષ્ટ નક્કી થયું કે અમારે બંનેએ એકબીજાને મળવું નહીં કે વાત કરવી નહીં. અને જો હું કે કૃષ્ણકાંત જે કોઈ પણ આ નિયમ તોડશે, એકબીજાને બોલાવશે કે મળશે તો તેને પાંચ લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે સ્નેહાએ સમાધાનની ફોર્મ્યુલા પોલીસ સામે છતી કરી અને પોલીસ અધિકારીઓ આ વાતને એકટીસે સાંભળી રહ્યા હતા. પાંચ લાખ રૂપિયાની આ શરત એક મોટી રકમ હતી. આ શરતનો અર્થ સ્નેહા સમજતી હતી. તેણે એ જ ઘડીથી કૃષ્ણકાંતને બોલાવવાનું અને મળવાનું બંધ કરી દીધું. સ્નેહાએ પોલીસને કહ્યું, હું જે મોબાઈલ વાપરતી હતી, તેનું સિમકાર્ડ મારા ભાઈના નામે હતું. પણ કૃષ્ણકાંત વારંવાર મને તેના નંબર પરથી ફોન કરતો રહેતો હતો. હું તેના કોલનો જવાબ આપતી નહોતી, પણ તે છતાં તે સતત મને ધમકાવતો રહેતો હતો. PSI ચુડાસમા આ બધી જ માહિતી ધ્યાનથી સાંભળી રહ્યા હતા. તેમણે લાંબા સમય સુધી ચૂપ રહ્યા પછી સવાલ કર્યો, કેવી ધમકીઓ આપતો હતો? સ્નેહાએ આંખો મીંચી દીધી અને બોલી, તે કહેતો હતો કે જો તું મારી સાથે સારી રીતે નહીં રહે તો હું તને અને તારા આખા પરિવારને જાનથી મારી નાખીશ. તાજેતરમાં કૃષ્ણકાંતની ધમકીઓ વધી ગઈ હતી. તેને શંકા હતી કે સ્નેહાનો સંબંધ ગામના અન્ય એક છોકરા સાથે છે. તે મને ફોન કરીને ધમકી આપતો હતો કે તું મારી નહીં, તો હું તને કોઈની નહીં થવા દઉં. તને જાનથી મારી નાખીશ. અને તું કેમ ચૂપ રહી? આ વાત તારા પિતા કે ભાઈને કેમ ન કહી? PSI ચુડાસમાએ સવાલ કર્યો. સ્નેહાએ કહ્યું, મને બીક લાગતી હતી, સાહેબ. જો હું ઘરે વાત કરત, તો કૃષ્ણકાંત મને મારશે કે મારા પરિવારને હેરાન કરશે. એટલે મેં કોઈને વાત કરી નહોતી. પોલીસની સામે સ્નેહાએ પોતાની વાત પૂરી કરી. કેસ હવે તો 180 ડિગ્રીએ ફરી ચૂક્યો હતો. જો કે એક હકીકત એ પણ હતી કે સ્નેહાએ હજુ પણ ઘણી વાતો પોલીસને જણાવી ન હતી. આ વાતોના ખુલાસા આવનારા સમયમાં થવાના હતા. PSI ચુડાસમા હોસ્પિટલના ટેબલ પરથી ઉભા થયા અને કમરનો બેલ્ટ કસ્યો. હવે આ કેસ માત્ર રોડ એક્સિડન્ટનો નહોતો. તેમાં હત્યાની કલમ ઉમેરવાનો સમય આવી ગયો હતો. બોલ્યા, ચિંતા ન કર બેટા. તને ન્યાય મળશે. હવે આ કૃષ્ણકાંતને શોધવો પડશે. પોલીસ કર્મચારીઓ જવાની તૈયારીમાં જ હતા. ત્યારે સ્નેહાએ કહ્યું, “એક મિનિટ સાહેબ” બધા લોકો રોકાઈ ગયા. કોઈ સવાલ કરે એ પહેલાં જ સ્નેહાએ ફરી બોલવાનું શરૂ કર્યું. સાહેબ, હું છેલ્લા બે મહિનાથી ભાવનગરની એક એકેડેમીમાં નર્સિંગના કોચિંગ ક્લાસ કરવા ગઈ હતી અને ત્યાં જ રહેતી હતી. પણ કૃષ્ણકાંતે મને ત્યાં પણ શાંતિથી રહેવા દીધી નહોતી. તે અલગ-અલગ મોબાઇલ નંબર પરથી મને ફોન કરીને હેરાન-પરેશાન કરતો હતો. વીસેક દિવસ પહેલાંની વાત છે. કૃષ્ણકાંતે મને ફોન કરીને કહ્યું કે 'હું ભાવનગર આવ્યો છું, મારે તને મળવું છે.' મેં ફોન કાપી નાખ્યો, તેણે ઘણાં બધા ફોન કર્યા, મેં એક પણ ન ઉપાડ્યો અને તેને મળી પણ નહીં. સ્નેહાએ એક્સિડન થયો એ જ દિવસે એટલે કે 15મી ડિસેમ્બર, 2023ના દિવસની વાત કરી, જે દિવસ તેના જીવનનો સૌથી ભયાનક દિવસ બની ગયો હતો. એ દિવસે મારા ક્લાસ પૂરા થતા હતા. સવારથી જ કૃષ્ણકાંતે મને અલગ-અલગ નંબરો પરથી ફોન કરવાના શરૂ કર્યા. હું કામમાં હતી, એટલે મારી બહેનપણીએ ફોન ઉપાડ્યો. મારી બહેનપણીએ કૃષ્ણકાંતને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. કે અમારે આજે ઘરે આવવાનું છે અને હવે વારેઘડીએ ફોન કરીને હેરાન કરીશ તો સ્નેહા તેના પિતાને તારી વાત કરી દેશે. હવે પછી ફોન કરતો નહીં. બપોરના બે વાગ્યા આસપાસ, હું અને જિજ્ઞાશા ખાનગી વાહનમાં બેસીને ભાવનગરથી ઘરે આવવા નીકળ્યા. આખા રસ્તે કૃષ્ણકાંત મને સતત ફોન કરતો રહ્યો પણ મેં ફોન ઉપાડ્યો નહીં. પરંતુ વડોદરા નજીક આવતા હું કંટાળી ગઈ. મેં કંટાળીને તેનો ફોન ઉપાડ્યો. તેણે મને પૂછ્યું કે 'ક્યાં પહોંચી છે?' મેં તેને કહ્યું કે હું વડોદરા નજીક છું. સ્નેહા એ વાતથી અજાણ હતી કે બહેનપણીની ધમકીએ કૃષ્ણકાંતના મનમાં વેરના બીજ વાવી દીધા હતા. તેના મનમાં એક ખતરનાક ષડયંત્ર બન્યું અને તેને આખરીઓપ આપવાની તૈયારી પણ શરૂ કરી દીધી. સ્નેહા પોતે જાણતી હતી એ હકીકત ઉમેરતા કહ્યું, મેં મારા પિતા રમેશભાઈને ફોન કરીને હાલોલ લેવા આવવાનું જણાવ્યું. રાત્રિના આશરે આઠ વાગ્યે હું હાલોલ પહોંચી. મારા પપ્પા મોટરસાયકલ લઈને આવ્યા હતા. હું અને પપ્પા મોટરસાયકલ લઈને સામાન સાથે ઘરે આવવા નીકળ્યા. પાવાગઢ, શિવરાજપુર, જાંબુઘોડા થઈને અમે કણજીપાણી ગામે રાત્રે નવેક વાગ્યાના સુમારે જઈ રહ્યા હતા. ત્યારે અમારું એક્સિડન્ટ થયું. સ્નેહાએ પોતાની વાત પર ભાર મૂકતા કહ્યું, મને અને મારા પિતાને મારી નાંખવાના ઇરાદે તેણે બોલેરો પીક અપ ડાલુ પૂરઝડપે અમારા બાઇક પાછળ બેફામ દોડાવ્યું અને ટક્કર મારી. અકસ્માતનો ભોગ બનેલી અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી સ્નેહાનું આ નિવેદન ઇન્વેસ્ટિગેશનનો એક મજબૂત ભાગ હતો. પોલીસને અકસ્માત કરનાર વાહનના સીસીટીવી ફુટેજ, વાહનચાલકનું નામ અને હત્યાને અકસ્માતમાં ખપાવવાના પાછળનો ઇરાદો ખબર પડી ગઈ હતી. એક કહેવત છે કે પાપ છાપરે ચઢીને પોકારે છે. આ કિસ્સામાં તૂટેલું બમ્પર ગાર્ડ, સ્નેહાનું નિવેદન અને મોબાઇલ લોકેશનના પુરાવાએ કૃષ્ણકાંતના કાવતરાને નકામું સાબિત કરી દીધું હતું. હવે આરોપી કૃષ્ણકાંત રાઠવા પોલીસની રડાર પર હતો. પોલીસ એકક્ષણનો પણ વિલંબ કર્યા વગર આરોપીના ઘરે પહોંચી પણ નિરાશા હાથ લાગી. કૃષ્ણકાંત ફરાર થઈ ગયો હતો. પોલીસે તેના માતા-પિતાની પૂછપરછ શરૂ કરી. કૃષ્ણકાંતના પિતા પુનમભાઈ ખૂબ જ ગભરાઈ ગયા હતા. તેમણે પોલીસને જણાવ્યું, સાહેબ હું ખેતી કરું છું. મારે એક દીકરો કૃષ્ણકાંત અને એક નાની દીકરી છે. મેં 2018ની સાલમાં એક બોલેરો પીક અપ ડાલું ખરીદ્યું, જે મારા નામે રજિસ્ટ્રેશન થયેલું છે. આ ગાડી મારો દીકરો કૃષ્ણકાંત જ ચલાવે છે. હું એને ભાડેથી ફેરવું છું. મને ડ્રાઇવિંગ આવડતું નથી, એટલે હું ક્યારેય ચલાવતો નથી. પુનમભાઈના આ નિવેદને હત્યામાં પીકઅપ ડાલાનો ઉપયોગ અને કૃષ્ણકાંતના ડ્રાઇવિંગની વાતની પુષ્ટિ કરી. પોલીસે પુનમભાઈને સવાલ કર્યો, “15મી ડિસેમ્બરે કૃષ્ણકાંત ક્યાં હતો?” 15મી ડિસેમ્બર મારો છોકરો કૃષ્ણકાંત સાંજે આશરે છ-સાડાછ વાગ્યે ડાલું લઈને ઘરેથી નીકળ્યો હતો. તેણે અમને કહ્યું હતું કે તે દેસિંગપુરા ગામે ગાદલા ભરવાની વર્ધી છે, ત્યાં જાઉં છું. ત્યારબાદ રાત્રે આશરે દસ વાગ્યે મારા છોકરાનો ફોન આવ્યો. તેણે કહ્યું કે મારાથી જાંબુઘોડા નજીક કણજીપાણી ગામે રાત્રે મોટરસાયકલને ટક્કર વાગી ગઈ છે. એટલું હું ધંધુકામાં રહેતા પ્રકાશ મામાના ઘરે જાઉં છું. આ ગુના પછીનો પહેલો ફોન હતો, જેમાં કૃષ્ણકાંતે પોતાને નિર્દોષ રજૂ કરવા માટે એક્સિડન્ટ શબ્દ જ વાપર્યો હતો. “પછી એનો કોઈ ફોન આવ્યો કે નહીં?”, પોલીસે હવે જરા કડકાઈથી સવાલ કર્યો. હા સાહેબ… સવારે છ વાગ્યે ફરી ફોન આવ્યો અને તેણે જણાવ્યું કે ધંધુકા પહોંચી ગયો છું. મારા સાળા પ્રકાશે પણ મારી સાથે વાત કરીને કૃષ્ણકાંત ત્યાં આવ્યો હોવાનું કહ્યું હતું. જો કે થોડા કલાકોમાં જ પુનમભાઈને દીકરાના કૃત્યની જાણ થઈ હતી. તેમણે પોલીસકર્મીઓને કહ્યું, સવારમાં મને ગામમાં વાતો વાતથી જાણવા મળ્યું કે અમારા ગામના રમેશભાઈ અને પાછળ બેઠેલી તેમની દીકરી સ્નેહાબેનની મોટરસાયકલને પાછળથી ટક્કર મારનારું બોલેરો પીક અપ ડાલું મારું હતું. તે મારો છોકરો કૃષ્ણકાંત જ ચલાવતો હતો. ત્યારબાદ મેં છોકરાનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ તેનો મોબાઇલ બંધ આવતો હતો. કૃષ્ણકાંતે પોતાનો મોબાઈલ બંધ કરીને ફરાર થવાનું નક્કી કરી લીધું હતું. આ વાત તેના પિતાના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું. પોલીસે ધંધુકામાં કૃષ્ણકાંતના મામાના ઘરે તપાસ કરી. પરંતુ આરોપી ત્યાંથી પણ નાસી છૂટ્યો હતો. પોલીસે તાત્કાલિક ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને કૃષ્ણકાંતના લોકેશનને ટ્રેક કરવાનું શરૂ કર્યું. અંતે, પોલીસની મહેનત રંગ લાવી. અકસ્માતના પાંચમાં દિવસે એટલે કે 20મી ડિસેમ્બરના રોજ PSI પી.આર.ચુડાસમા અને તેમની ટીમે ફરાર આરોપી કૃષ્ણકાંત રાઠવાની વાહન સાથે ધરપકડ કરી. ડાલાના બમ્પર અને અન્ય ભાગમાં ટક્કરના કારણે થયેલા નુકસાનના સ્પષ્ટ નિશાન હતા. જે સ્નેહાના નિવેદન તેમજ ઘટનાસ્થળેથી મળેલી આવેલા તૂટેલા બમ્પર ગાર્ડ સાથે મેળ ખાતા હતા. પોલીસ સામે કૃષ્ણકાંતે કબૂલ્યું કે, અમારી વચ્ચે બે વર્ષથી પ્રેમસંબંધહતો. પણ પછી ઝઘડો થયો હતો. આ વાત ઘર સુધી પહોંચી હતી. ત્યાર બાદ પંચ સમક્ષ સમાધાન થયું અને સ્ટેમ્પ પેપર પર નોટરી રૂબરૂ કરાર કરીને બધુ નક્કી થયું હતું. તેના પર મેં અને સ્નેહાએ સહી પણ કરી હતી. આ કરાર પછી સ્નેહાએ મારી સાથે વાતચીત કરવાનું સંપૂર્ણ બંધ કરી દીધું. મને જાણ થઈ કે તેને કોઈ અન્ય છોકરા સાથે સંબંધ છે. મારા મનમાં ગુસ્સાની આગ ભભૂકી ઊઠી. સ્નેહા જ્યારે ભાવનગરથી પરત ફરી રહી હતી ત્યારે કૃષ્ણકાંતે તેને ઘણા ફોન કર્યા હતા. આખરે સ્નેહાએ ફોન ઉપાડીને કહ્યું હતું, હું વડોદરા નજીક છું અને હાલોલ ઊતરવાની છું. મારા પિતા હાલોલ મને લેવા માટે આવે છે. આ માહિતી મળતાં જ કૃષ્ણકાંતના મનમાં ખૂનનું કાવતરું મજબૂત બની ગયું. સ્નેહા અને તેના પિતા હાલોલથી મોટરસાયકલ પર ઘરે જવાના હતા. રાતના અંધારામાં બન્નેને મારી નાખવાની માટે સૌથી યોગ્ય તક આરોપીને લાગી હતી. કૃષ્ણકાંતે પોલીસે કહ્યું, હું મારું પીક અપ ડાલું લઈને સાંજે આશરે છ-સાડાછ વાગ્યે ઘરેથી નીકળ્યો. મારા માતા-પિતાને મેં જૂઠું કહ્યું કે હું દેસિંગપુરા ગાદલા ભરવાની વર્ધી પર જાઉં છું. પણ હકીકતમાં હું જાંબુઘોડા આવ્યો. જાંબુઘોડા નદીના પુલ નજીક મારું પીક અપ ડાલું લઈને અંધારામાં સ્નેહા તથા તેના પિતાના આવવાની રાહ જોતો ઊભો હતો. એ લોકોને હું ઓળખી ગયો અને ગાડી લઈને તેમની પાછળ ગયો. કણજીપાણી ગામે સિંગલ પટ્ટી રોડ આવતા મેં મારા પીક અપ ડાલાથી બાઇકને પાછળથી ટક્કર મારી દીધી હતી. પોલીસ સબ ઇન્સ્પેકટર પી.આર.ચુડાસમાએ તમામ પુરાવાઓ, સ્નેહાનું નિવેદન, આરોપીની કબૂલાત, નોટરી કરાર, CDR લોકેશન અને કબજે કરાયેલ ડાલું… બધાને એક મજબૂત કડીમાં ગોઠવી સુનિયોજિત હત્યાનો કેસ બનાવ્યો. સમગ્ર તપાસ પૂર્ણ થયા બાદ PSI ચુડાસમાએ આરોપી કૃષ્ણકાંત વિરુદ્ધ હાલોલ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દીધી છે. આરોપી કૃષ્ણકાંત રાઠવા હાલમાં પણ જેલમાં છે અને તેના પર હાલોલ સેશન્સ કોર્ટમાં હત્યાનો કેસ ચાલી રહ્યો છે.
ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ પ્રક્રિયા બાદ 19મી તારીખે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થવાની છે. જેમાં એવા લોકોના નામ હશે જેના નામ નથી કપાયા. જો તમને એવી ચિંતા થતી હોય કે આ ડ્રાફ્ટ યાદીમાં મારૂં નામ હશે કે નહીં? તો દિવ્ય ભાસ્કર તમારી આ ચિંતા દૂર કરશે. અહીં અમે તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ સમજાવીશું. આ પ્રોસેસમાં તમે જે યાદી જોશો તે કપાયેલા નામોની યાદી હશે. જો આ કપાયેલા નામોની યાદીમાં તમારૂં નામ નહીં હોય તો 19મી તારીખે પ્રસિદ્ધ થનારી ડ્રાફ્ટ મતદાર યાદીમાં તમારૂં નામ હશે અને તમારે બીજી કોઇ કાર્યવાહી કરવાની જરૂર નહીં રહે. જો તમારૂં નામ આ કપાયેલા નામની યાદીમાં હશે તો 19મી તારીખે પ્રસિદ્ધ થનારી ડ્રાફ્ટ મતદાર યાદીમાં તમારૂં નામ નહીં હોય. જો તમારૂં કપાયું છે તો કયા કારણોસર કપાયું છે તે પણ જાણવા મળશે. આવું થાય તો ગભરાશો નહીં કેમ કે તમે વાંધા અને દાવા રજૂ કરી શકશો. જેના માટે તમને 1 મહિનાનો સમય પણ મળશે. હવે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ સમજો. સ્ટેપ 1સૌથી પહેલાં તમારે ઇન્ટરનેટ પર જઇને સીઇઓ ગુજરાત (ceo gujarat) ટાઇપ કરવાનું રહેશે. સર્ચ રિઝલ્ટમાં તમને સીઇઓ ગુજરાત- ગુજરાત સ્ટેટ પોર્ટલ (CEO Gujarat - Gujarat State Portal) જોવા મળશે. જેના પર ક્લિક કરતા જ ચીફ ઇલેક્ટોરલ ઓફિસરની વેબસાઇટ ખુલી જશે. સ્ટેપ 2આ પેજ પર નીચેની તરફ ઇમ્પોર્ટન્ટ લીંક્સ હેડિંગ લખેલું જોવા મળશે. જેમાં ડાબી તરફ સૌથી પહેલાં SIR 2026 : List of Absent/Shifted/Deleted Electors લખેલું જોવા મળશે. જેના પર ક્લિક કરશો એટલે નવું વેબ પેજ ખુલી જશે. સ્ટેપ 3નવા વેબ પેજમાં વાદળી લીટીમાં List of Absent/Shifted/Dead Voters નામનું હેડિંગ આવશે. આ પેજ પર ગુજરાતના 33 જિલ્લાના નામ હશે. અહીંયા ડિસ્ટ્રીક્ટ નંબર, ડિસ્ટ્રિક્ટનું નામ અને Show એમ ત્રણ કોલમ હશે. તમારે જે જિલ્લાની માહિતી જોઈએ છે તે જિલ્લાના નામની બાજુમાં આવેલા Show નામના બટન પર ક્લિક કરવાનું રહેશે. (અહીં ઉદાહરણ આપવા માટે કચ્છ જિલ્લો લીધો છે.) સ્ટેપ 4તમે Show બટન પર ક્લિક કરશો એટલે સિલેક્ટ કરેલા જિલ્લામાં આવતા વિધાનસભા મત વિસ્તારોની યાદી ખુલશે.આ મતવિસ્તારોમાંથી તમારે જે મતવિસ્તારની યાદી જોઈએ છે તે વિધાનસભા પર ક્લિક કરવાનું રહેશે. (અહીં ઉદાહરણ તરીકે અંજાર વિધાનસભા મતવિસ્તાર લીધો છે.) સ્ટેપ 5હવે તમે જે વિધાનસભા મતવિસ્તાર સિલેક્ટ કરશો તેની ગૂગલ ડ્રાઇવ ખૂલી જશે. જેમાં ઘણી બધી PDF ફાઈલ જોવા મળશે. કોઇ PDF ફાઇલ પર તાલુકા અને તેના બૂથ તેમજ ભાગ નંબર લખેલા હશે તો કોઇ ફાઇલ પર ગામનું નામ લખેલું હશે. તેના પરથી તમે આ PDF ફાઇલ તમારા વિસ્તારની છે કે નહીં તે જોઇ શકશો. અહીં તમારે તમારા બૂથ નંબરની યાદી શોધવાની રહેશે. SIRની પ્રક્રિયા વખતે તમને જે ફોર્મ ભરવા માટે આપ્યું હતું તેમાં તમારો બૂથ નંબર લખેલો હતો. જો એ વિગત તમારી પાસે ન હોય તો તમે તમારા BLO અથવા રાજકીય પક્ષના સ્થાનિક પ્રતિનિધિને પૂછી શકો છો. સ્ટેપ 6તમે તમારા બૂથની યાદી ખોલશો એટલે તમને BLOનું નામ, હોદ્દો અને તેનો રિપોર્ટ જોવા મળશે. રિપોર્ટના પહેલા જ ફકરામાં આ બૂથમાં કેટલા મતદારો છે તેની સંખ્યા લખેલી હશે. આ સાથે જ એ બૂથમાંથી કેટલા મૃત મતદારો, કાયમી સ્થળાંતર કરી ગયેલા મતદારો અને ડુપ્લિકેટ મતદારો તેમજ ગેરહાજર રહેલા મતદારોની સંખ્યા પણ જોવા મળશે. માત્ર આટલું જ નહીં આ ચારેય પ્રકારના મતદારોનું એક લિસ્ટ પણ નીચેની તરફ હશે. જેમાં જે-તે વ્યક્તિનું નામ, તેનો મતદાર ક્રમાંક અને એપિક કાર્ડ નંબર પણ આપવામાં આવ્યો હશે. સાથે જ કયા કારણોસર એ મતદારનું નામ દૂર કરાયું છે તે પણ દર્શાવાયું હશે. (અહીં ઉદાહરણ આપવા માટે અંજાર વિધાનસભામાં આવતા નાગોર મતવિસ્તાર લીધો છે.) આમ આ રીતે તમે અત્યારે જ 2 મિનિટમાં ગુજરાતના કોઇપણ જિલ્લા, મતવિસ્તાર અને બૂથ પર કેટલા નામ દૂર કરાયા છે, કોના નામ દૂર કરાયા છે અને કયા કારણોસર નામ દૂર કરાયા છે તે જાણી શકશો. ચૂંટણી પંચની આ લીંકમાં અપલોડ કરાયેલી દરેક PDFમાં જે-તે બૂથમાં જે BLOએ કામ કર્યું છે તેનું નામ અને તેની સહી પણ કરેલી છે. દરેક BLOએ આ યાદી જે-તે વિસ્તારના રાજકીય પક્ષના BLA (બૂથ લેવલ એજન્ટ)ને પણ વાંચીને સંભળાવી છે. તે બૂથ લેવલ એજન્ટના નામ અને સહી તમને આ ફાઇલમાં જોવા મળશે. BLOનો જે-તે વિસ્તારના BLA સાથે અથવા કામ કરતો ફોટો પણ આ PDFમાં જોવા મળશે. આ સંપૂર્ણ પ્રોસેસ જાણ્યા પછીની ખાસ વાતજે લોકોના નામ આ યાદીમાં દેખાઇ રહ્યા છે તેનો અર્થ એ કે તેમના નામ 19મી તારીખે જાહેર થનારી ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી દૂર કરી દેવાશે. જે લોકોના નામ કપાયા હશે તેમના નામની યાદી ચૂંટણીપંચની વેબસાઇટ ઉપરાંત જાહેર કાર્યાલય પર જોઇ શકાશે. જો કોઇનું નામ ખોટી રીતે કપાઇ ગયું હશે તો તે પોતાના વાંધા રજૂ કરી શકશે. જેના પછી વાંધા અરજી પર સુનાવણી થશે અને જો કોઇ ભૂલ હશે તો સુધારી લેવાશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે. ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર, ERO (BLO થી ઉપરના અધિકારી) ને 2 બાબત પર ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું છે એક પાત્રતા ધરાવતો કોઇપણ નાગરિક નવી મતદાર યાદીમાંથી રહી ન જાય અને બીજું કોઇપણ ગેરલાયક વ્યક્તિનું નામ નવી મતદાર યાદીમાં સામેલ ન થાય. આ માટે 2 લેવલની સુનાવણીની પ્રક્રિયા પણ કરવામાં આવશે. EROની કોઇપણ અપીલ પર પહેલા તબક્કામાં જિલ્લા મેજિસ્ટ્રેટ સુનાવણી કરશે અને જો જિલ્લા મેજિસ્ટ્રેટની કોઇ અપીલ આવે તો તેમાં મુખ્ય ચૂંટણી અધિકારીઓ સુનાવણી કરશે. છેલ્લે જણાવી દઇએ કે ગુજરાતમાં કુલ 5.08 કરોડથી વધુ મતદારો નોંધાયેલા છે. આ મતદારો માટે કુલ 50,963 BLO છે. જ્યારે રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટની સંખ્યા 28,524 છે. નોંધ- કદાચ જો આ લિસ્ટમાં તમારા બૂથનો ડેટા ન હોય તો 19 તારીખ પહેલાં તે અપડેટ થઇ જશે.
‘અમારે એવું સિનેમા બનાવવું હતું જે બહુ જ લક્ઝરી હોય, ક્વોલિટી ક્રાઉડ હોય પણ ઓવરક્રાઉડેડ ન હોય. અમારો વિચાર હતો કે, 150-200 રૂપિયા આપીને પણ ટટ્ટાર ન બેસી રહેવું પડે, એટલે અમે બધી જ રિક્લાઇનર સીટ્સ (સોફાવાળી પગ લાંબા કરીને સૂઈ શકો એવી સીટ) જ રાખી. જેથી દરેક મૂવીનો બેસ્ટ એક્સપિરિયન્સ મળી શકે. હું અને અનિષ પટેલ બંને મિત્રોએ મળી 2019માં અમે સિનેમા ચેઇનની શરૂઆત કરી, પણ જેવું ચાલુ કર્યું એના ત્રણ જ મહિનામાં કોવિડ આવી ગયો. પણ અમારું કામ ચાલુ રહ્યું. જ્યારે આખી દુનિયાના સિનેમા બંધ હતા ત્યારે અમે સિનેમાની ચેન સાથે બધાને જોડતા હતા, વીડિયો કૉલથી અમારું કામ ચાલુ જ હતું અને અમે વધારે સારી રીતે બધુ બિલ્ટઅપ કરી શક્યા. ફ્રેન્ચાઇઝી મોડેલ તૈયાર કર્યું અને અત્યારે ભારતનાં 9 રાજ્યોમાં 32 લોકેશન પર 88 સ્ક્રીન પર ફિલ્મો ચાલી રહી છે.’ આ શબ્દો છે, રાહુલભાઈ ધ્યાનીના… રાહુલભાઈ એટલે આપણાં ગુજરાતની એક માત્ર સિનેમાચેઇન ‘કોનપ્લેક્સ’ના કો-ફાઉન્ડર. વર્ષોથી ફિલ્મ માર્કેટિંગ સાથે જોડાયેલા રાહુલભાઈએ મિત્ર અનિષ પટેલ સાથે મળી 2019માં સિનેમાનો બિઝનેસ શરૂ કર્યો. કોનપ્લેક્સ સિનેમા એટલે સોફાવાળી સીટ આપતાં થિયેટર તરીકે ફેમસ થયેલી ગુજરાતની પોતીકી થિયેટર ચેઇન. PVR જેમ દિલ્હીની ઓળખ છે, આઈનોક્સ મુંબઈની ઓળખ છે, મિરાજ રાજસ્થાનની છે, એ રીતે ગુજરાતની થિયેટર ચેઇન એટલે ‘કોનપ્લેક્સ’ (Connplex). પાંચથી છ વર્ષમાં જ અત્યારે કોનપ્લેક્સ સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ પબ્લિક લિમિટેડ કંપની બની ચૂકી છે. પરંતુ થિયેટર કામ કેવી રીતે કરે? ઓપન કેવી રીતે થાય? તમારે થિયેટર ઓપન કરવું હોય તો? થિયેટરનો બિઝનેસ કેમ કરાય? એ બધી જ વાતો આજે આપણે જાણીશું ‘સ્ટાર્ટઅપ સ્ટોરીઝ’ના ત્રીજા એપીસોડમાં. તો ચલો, મસ્ત કન્ફર્ટેબલ સીટ પર રાહુલભાઈ અને એમના કોનપ્લેક્સનું મૂવી જોઈએ…લાઇટ… કેમેરા… એક્શન… ‘હું પાક્કો અમદાવાદી જ છું, મારો જન્મ પણ અહીં જ થયો છે અને હું મોટો પણ અહીં જ થયો છું.’ રાહુલભાઈએ વાતની શરૂઆત કરી, ‘મારા પપ્પા રાજપથ ક્લબના ઈવેન્ટ મેનેજર હતા અને સાથે અમદાવાદની બીજી પણ ઘણી ઈવેન્ટ હેન્ડલ કરતા. મારાં મમ્મી પોલિટેકનિક કોલેજમાં લેક્ચરર હતાં. મેં ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે ને બાદમાં ITનો કોર્સ કરવા હું ન્યૂ ઝીલેન્ડ ગયો હતો. માસ્ટર્સ પૂરું કરી ફરી અમદાવાદ આવી ગયો ને, અહીં પપ્પાનો બિઝનેસ જોઇન કર્યો. પપ્પા સાથે થોડાં વર્ષ કામ કર્યું ત્યાં મને બૉલિવૂડમાંથી એક ફિલ્મના પ્રમોશન અને માર્કેટિંગનો ચાન્સ મળ્યો.’ રાહુલભાઈ આગળ કહે, ‘2009માં ‘દે દના દન’ મૂવી માટે અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટી સાથે મળી ગુજરાતમાં માર્કેટિંગ કર્યું ને એની સક્સેસ પછી તો ઘણી ફિલ્મો મળી. એ પછી મુંબઈ ગયો અને ધર્મા પ્રોડક્શનથી લઈ યશરાજ, એક્સેલ સુધીના મોટાં મોટાં પ્રોડક્શન હાઉસની ‘ઝિંદગી ન મિલેગી દોબારા’, ‘રા-વન’, ‘ડોન-2’ જેવી નહીં નહિ તો પણ દોઢસોથી વધુ બોલિવૂડની ફિલ્મોનું પ્રમોશન હેન્ડલ કર્યું. ફક્ત ઈન્ડિયા પૂરતું જ નહીં, ઘણી ફિલ્મોને તો ઇન્ટરનેશનલ લેવલે પણ પ્રમોટ કરી છે. 2015માં મારા મિત્રોએ ‘છેલ્લો દિવસ’ ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસ કરી. તો એમના આગ્રહથી એ ફિલ્મના માર્કેટિંગ માટે મારે ફરી અમદાવાદ આવવું પડ્યું. એ પછી પણ ફિલ્મ પ્રમોશન ચાલુ રહ્યું ને મારા પોર્ટફોલિયો મુજબ અઢીસોથી વધુ ફિલ્મોને મેં પ્રમોટ કરી.’ 140 કરોડની વસ્તી ને ₹100 કરોડનો જ બિઝનેસ? બહોત ના ઇન્સાફી હૈ! ફિલ્મોનાં પ્રમોશનમાં આટલું સારું કરિયર ચાલતું હતું તો થિયેટર લાઇનમાં કેવી રીતે આવ્યા? રાહુલભાઈ કહે, ‘મારા માર્કેટિંગ અને પ્રમોશનના કામ વચ્ચે 2017માં એક ફિલ્મ આવી, જેને ઓવરસીઝ ડિસ્ટ્રિબ્યુટ કરવા હું USA ગયો હતો. તો ત્યાં મેં જોયું કે, અહીં તો 12-14 સ્ક્રીનનાં એક એક થિયેટર છે. એ ટાઈમે મેં ત્યાં જોયું કે, 33 કરોડની વસ્તીમાં એ લોકો પાંચ હજાર કરોડનો બિઝનેસ કરતા. તેની સામે આપણા ઈન્ડિયામાં 140 કરોડની વસ્તી અને આપણે ફક્ત ₹100 કરોડનો જ બિઝનેસ કરીએ. મને કયુરોસિટી થઈ કે ઈન્ડિયામાં શું કરીએ તો આટલો બધો બિઝનેસ થાય?’ ભારતમાં આટલાં ઓછાં સિનેમા થિયેટર કેમ છે? રાહુલભાઈએ વાત ચાલુ રાખી, ‘આપણાં ભારતમાં એન્ટરટેઇનમેન્ટના નામે સિનેમા સિવાય કશું છે જ નહીં, તો પણ આટલો ઓછો બિઝનેસ કેમ? આપણે શું એવું કરીએ કે અહીં સિનેમાનો બિઝનેસ આગળ વધે? મેં અને મારા મિત્ર અનિષ પટેલે મળી નક્કી કર્યું કે, ચલો આપણે કંઇક સ્માર્ટ સિનેમા જેવું ઈન્ટ્રોડ્યુસ કરીએ. અમે બહુ બધું રિસર્ચ કર્યું અને એક રિપોર્ટ તૈયાર કર્યો તો ધ્યાને પડ્યું કે, ‘અમેરિકા પાસે 40 હજારથી વધુ કોમર્શિયલ થિયેટર સ્ક્રીન છે, ચાઈના પાસે 70 હજારથી વધુ સ્ક્રીન છે. એટલે અમને એમ થયું કે, ઈન્ડિયામાં 25-30 હજાર સ્ક્રીન તો મિનિમમ હશે, પણ આંકડો કઢાવ્યો તો ખબર પડી કે, ઈન્ડિયામાં તો 10 હજાર સિનેમા સ્ક્રીન પણ નથી. પૂરી દુનિયામાં આપણે જ સૌથી વધુ મૂવી પ્રોડ્યુસ કરીએ છીએ, 14 ભાષાઓમાં ફિલ્મો બને છે, સૌથી વધુ જોઈએ છીએ, સૌથી વધુ વસ્તી છે, છતાં સ્ક્રીન સૌથી ઓછી કેમ?’ ‘કોરોના પણ અમારું કંઈ બગાડી ન શક્યો’ બસ આ જ આંકડાઓની માયાજાળે ‘કોનપ્લેક્સ’ સિનેમાનો ઉદ્ભવ કરાવ્યો. રાહુલભાઈએ વાત ચાલુ કરી, ‘અમે નક્કી કર્યું અને અમારે એવું સિનેમા બનાવવું હતું જે બહુ જ લક્ઝરી હોય, ક્વોલિટી ક્રાઉડ હોય પણ ઓવરક્રાઉડેડ ન હોય. અમારો વિચાર હતો કે, 150-200 રૂપિયા આપીને પણ ટટ્ટાર ન બેસી રહેવું પડે, એટલે અમે બધી જ રિક્લાઇનર સીટ્સ (સોફાવાળી પગ લાંબા કરીને સૂઈ શકો એવી સીટ) જ રાખી. જેથી દરેક મૂવીનો બેસ્ટ એક્સપિરિયન્સ મળી શકે. હું અને અનિષ પટેલ બંને મિત્રોએ મળી 2019માં અમે સિનેમા ચેઇનની શરૂઆત કરી, પણ જેવું ચાલુ કર્યું એના ત્રણ જ મહિનામાં કોવિડ આવી ગયો. પણ અમારું કામ ચાલુ રહ્યું. જ્યારે આખી દુનિયાના સિનેમા બંધ હતા ત્યારે અમે સિનેમાની ચેન સાથે બધાને જોડતા હતા, વીડિયો કૉલથી અમારું કામ ચાલુ જ હતું અને અમે વધારે સારી રીતે બધુ બિલ્ટઅપ કરી શક્યા. ફ્રેન્ચાઇઝી મોડેલ તૈયાર કર્યું અને અત્યારે ભારતનાં 9 રાજ્યોમાં 32 લોકેશન પર 88 સ્ક્રીન પર ફિલ્મો ચાલી રહી છે.’ ₹90 કરોડની સામે ₹2200 કરોડનું ફંડિંગ મળ્યું! અત્યારે તો કોનપ્લેક્સ સિનેમા પબ્લિક લિસ્ટેડ કંપની પણ બની ગઈ છે. રાહુલભાઈ કહે, ‘2024માં અમે નક્કી કર્યું કે, અમારે આ સિનેમા ચેઇનને હજુ પણ આગળ લઈ જવી છે. જેમ PVR દિલ્હીની ઓળખાણ છે, આઈનોક્સ મુંબઈની ઓળખાણ છે, મિરાજ રાજસ્થાનથી છે, એ રીતે મારે ગુજરાતની એક થિયેટર ચેઇન ઊભી કરવી હતી. એટલે 2024થી અમે IPO માટેની તૈયારીઓ શરૂ કરી ને ઓગસ્ટ 2025માં NSE પર કોનપ્લેક્સનો IPO લોન્ચ થયો. અમારે ફક્ત ₹90-95 કરોડનું ફંડિંગ જોઈતું હતું, એની સામે લોકોએ અમને ₹2200 કરોડનું ફંડિંગ આપ્યું.’ Connplex એટલે Connect + Plex કેટલા ટાઈમમાં આખો બિઝનેસ ઊભો થયો? રાહુલભાઈ કહે, ‘ખાલી રિસર્ચમાં અમારે બેથી ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો. પણ એ બે વર્ષ મારે હું અને મારો પાર્ટનર અનિષ પટેલ 100% આની પાછળ લાગી પડ્યા હતા. અમે ત્યારે રિસર્ચ કર્યું તો ખબર પડી કે ઈન્ડિયામાં લોકો ઓછા પૈસે આરામથી ફિલ્મો જોઈ શકે તેવી સારી સિનેમા ચેઇન છે જ નહીં. US જેવા દેશોમાં (આપણા ભાવ પ્રમાણે) ₹1200થી ₹1500ની ટિકિટ મળે છે, છતાં ત્યાં આટલા બધા લોકો ફિલ્મો જોવા જાય છે. એની સામે આપણે ત્યાં ₹200-300માં જો સારી ક્વોલિટી આપીશું તો લોકો જોવા આવશે જ. પછી નામ વિચાર્યું તો અમારે લોકોને કનેક્ટ કરવા હતા, એટલે કનેક્ટનું ‘Conn’ અને ‘Plex’ એટલે એવી જગ્યા કે જ્યાં લોકો મનોરંજન માટે જતા હોય. બંનેને મિક્સ કરી ‘Connplex’ નામ રાખ્યું.’ ‘કોરોનામાં લોકોએ અમારાં થિયેટરો પસંદ કર્યાં’ ...પણ બિઝનેસની શરૂઆત કરવી એટલી પણ સહેલી નહોતી. કેમ કે શરૂઆતમાં જ કોરોના આવી ગયો હતો, પણ રાહુલભાઈએ એ મુશ્કેલીને પણ પગથિયું બનાવી દીધું. રાહુલભાઈ કહે, ‘જ્યારે મેં અને અનિષે કંપનીની શરૂઆત કરી ત્યારે અમારી સાથે સેલ્સ ટીમ માટે એક જ માણસ હતો. પણ શરૂ કર્યું એના ગણ્યા ગાંઠ્યા દિવસોમાં કોરોના આવી ગયો. પણ એનો ફાયદો એ થયો કે, અમને માર્કેટ સાથે રહી શીખવાનો ટાઈમ મળ્યો. અમે વધારે સારી રીતે ડેવલપ કરી શક્યા અને એક સાથે મોટા પાયે લોન્ચિંગ કર્યું. જેવો કોરોનાનો ટાઈમ પૂરો થયો, લોકોએ ક્રાઉડવાળી જગ્યાએ જવું નહોતું. સામે અમારી પાસે 70-80નું જ સિટિંગ હતું. એટલે લોકોએ અમારાં થિયેટર સિલેકટ કરવાનું શરૂ કર્યું. ઉપરથી એ ટાઈમે નિયમ હતો કે, એક સીટ છોડી એકને બેસવું, એટલે પબ્લિક ઓછું આવતું હતું તો અમને અમારી બેઠક સુધારવાનો મોકો મળ્યો.’ દેશનાં 9 રાજ્યોમાં કોનપ્લેક્સ ધૂમ મચાવે છે કોનપ્લેક્સ અત્યારે ધૂમ મચાવે છે. એ પીક પર છે, પણ શરૂઆતમાં કેટલી અમાઉન્ટના ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડી હતી? ફાઉન્ડર રાહુલભાઈ કહે, ‘2019માં જ્યારે શરૂઆત કરી ત્યારે અમે બંને પાર્ટનરે મળી લગભગ દોઢ-બે કરોડ રૂપિયા જેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. એની સામે અત્યારે દર વર્ષે 40 લાખથી વધુ વ્યુઅર્સને ફિલ્મો બતાવીએ છીએ. આખા દેશમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, બિહાર, આંધ્રપ્રદેશ, તેલંગાણા સહિત ટોટલ 9 રાજ્યોમાં કોનપ્લેક્સ ધૂમ મચાવે છે. એમાં પણ અમદાવાદ, રાજકોટ, સુરત, ગાંધીનગર, મહેસાણા, ભરૂચમાં થઈ ગુજરાતની ટોટલ સારી સ્ક્રીનમાંથી 20% સ્ક્રીન અમારી પાસે છે. નહીં નહીં તો પણ 450થી વધુનો અમારો સ્ટાફ છે, જે સીધા જ અમારી સાથે જોડાયેલા છે, બાકી ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલા બીજા 300-350 કામ કરે છે.’ આટલા ઓછા રૂપિયામાં આટલી સારી ફેસિલિટી સાથે કામ કરો છો તો ક્યારેય કોઈએ કહ્યું હતું કે, નહીં ચાલે કે નુકસાન જશે? રાહુલભાઈ કહે, ‘ઘણા બધાએ ટોક્યા હતા, ઘણાએ ના પાડી હતી કે ન કરો, મરશો! ઘણાએ કહ્યું હતું કે, આ મોડેલ કામ જ નહીં કરે, ઘણા કહેતા કે તમે વિચારો છો એવા મલ્ટિપ્લેક્સની સક્સેસ આવતાં વર્ષો વીતી જશે. અમે 2019માં બિઝનેસ શરૂ કર્યો અને ગયા વર્ષે અમારી રેવન્યુ ₹90 કરોડની હતી. ₹19 કરોડ જેટલો પ્રોફિટ હતો, આ વખતે તો અડધા વર્ષે જ ₹64 કરોડનું ટર્નઓવર થઈ ગયું છે.’ બોલો, તમારે પણ થિયેટર સ્ટાર્ટ કરવું છે? કોઈને કોનપ્લેક્સની ફ્રેન્ચાઇઝી લેવી હોય તો? ફાઉન્ડર રાહુલભાઈ કહે, ‘અમારી ફ્રેન્ચાઇઝી તમે પણ લઈ શકો છો. અમે બસ થોડાં પેરામીટર સેટ કર્યાં છે. અમારી ફ્રેન્ચાઇઝી ટીમ પહેલાં ચેકલિસ્ટ પ્રમાણે એનાલિસિસ કરે છે. જેમાં એરિયાની વેલ્યૂ, પર હેડ ઇન્કમ, સ્પેન્ડિંગ કેપેસિટી કેટલી છે? ઇન્કમ કેટલી મળશે? ઇન્વેસ્ટરને કેટલા ટાઈમમાં રિટર્ન મળશે? ટિકિટ પ્રાઇઝ કેટલી ચાલે? આ બધાં જ પેરામીટર ચકાસ્યા બાદ કોઈને પણ ફ્રેન્ચાઇઝી આપીએ છીએ. અત્યારે મોટા સિટીના દરેક લોકેશન પર 15થી વધુ ઇન્ક્વાયરી પેન્ડિંગ છે. હવે તમને પ્રાઈઝિંગની વાત કરું.’ પ્રાઇસ વિશે વાત કરતાં રાહુલનભાઈ કહે, ‘ફ્રેન્ચાઇઝીનાં અમારી પાસે ત્રણ મોડેલ છે. જેમાં શરૂઆત થાય છે, એક સીટના ₹85 હજારથી ₹1.5 લાખ સુધી, એ પણ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે. ફ્રેન્ચાઇઝીએ ફક્ત ઇન્ટિરિયર પાર્ટ જ જોવાનો હોય છે, ટેક્નોલોજી પાર્ટ અમે હેન્ડલ કરીએ છીએ. એટલે જેમ જેમ ટેકનોલોજી અપગ્રેડ થાય, કંઈ ખામી આવે કે કશું પણ થાય તો એ બધું જ અમે મેનેજ કરીએ છીએ. એક વાર ફ્રેન્ચાઇઝી લીધા પછી ઇન્ટિયર સિવાય કોઈ પણ પ્રોબ્લેમ આવે તો એ બધું અમારી ટીમ હેન્ડલ કરે છે. પછી વાત રહી કોન્ટેન્ટની તો 99% ફિલ્મો અમારાં થિયેટરમાં આવી જ જાય છે.’ OTTના યુગમાં કોઈ થિયેટરમાં શા માટે જાય? OTT આવવાના કારણે લોકોએ થિયેટરમાં આવવાનું ઘણું ઓછું કરી દીધું છે, એવું લાગે છે? થિયેટર ચેનના ફાઉન્ડર રાહુલભાઈ કહે, ‘સાચી વાત છે, પણ એ પસંદગીનો સવાલ છે. તમને ઘરે બેસી થિયેટર જેવો 7.1 ડોલ્બી સાઉન્ડ, લોકો વચ્ચે બેસીને જોવાની મજા, આટલી મોટી સ્ક્રીન અને 3D સ્ક્રીન મળશે? જેને આ બધાથી કોઈ મતલબ ન હોય એ લોકો ઘરે પણ જોઈ લે છે, પણ જેને આ ફેક્ટર્સથી ફરક પડતો હોય, એ લોકો ચોક્કસથી થિયેટરમાં આવશે જ. લોકોની ફિલ્મો માટેની ભૂખ વધી છે, એટલે લોકો બે ફિલ્મો જોતાં એના બદલે હવે 5 જોવે છે પણ 2 ફિલ્મો જોવા તો હજુ થિયેટરમાં આવે જ છે.’ લોકોને થિયેટરની ટિકિટો મોંઘી લાગે છે? ઘણા લોકો એવી પણ ફરિયાદ કરે છે કે, ટિકિટના ઊંચા ભાવોના કારણે ફિલ્મો જોવા નથી જવાતું. થિયેટર ચલાવતા રાહુલભાઈ એ દર્શકોને જવાબ આપતાં કહે, ‘ભાવ વધારે છે જ નહીં, 200-250 રૂપિયા ત્રણ કલાકના મોંઘા છે જ નહીં. તમે બહાર બેસી કોફી પીઓ એ કરતાં ઓછા પૈસામાં તમને સોફા જેવી સીટ્સમાં બેસી ફિલ્મનો આટલો સારો એક્સપિરિયન્સ મળે એ મોંઘું થોડું કહેવાય?’ ‘પણ જ્યારે 99 રૂપિયામાં ટિકિટ હોય ત્યારે તો થિયેટર ફુલ થઈ જાય છે, તો એ ટિકિટના કારણે જ ને?’ રાહુલભાઈ કહે, ‘એ ઈનિશિએટિવ ‘મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા’ દ્વારા લેવામાં આવ્યું છે. દર મંગળવારે ₹99માં ફિલ્મની ટિકિટ! કેમ કે, મંગળ, બુધ, ગુરુ સૌથી ડલ વીક ડેઝ હોય છે. એટલે કોવિડ પછી પબ્લિકને ફરી સિનેમા તરીકે ખેંચવા માટે આ પ્રયાસ કર્યો હતો. સામે ફિલ્મ પ્રોડ્યુસર્સ પણ એગ્રી થયા એટલે શરૂઆત કરી હતી, એટલે સક્સેસ ગયું.’ બિઝનેસ માટે માર્કેટિંગ મહત્ત્વનો ભાગ છે. તમે કેવી રીતે માર્કેટિંગ કરો છો? રાહુલભાઈ કહે, ‘બધી જ રીતે પોસિબલ હોય એટલું માર્કેટિંગ કરીએ છીએ. ડિજિટલ, પ્રિન્ટ, રેડિયો, ઇવેન્ટ્સ બધી જ જગ્યાએ માર્કેટિંગ કરીએ છીએ. સરકારની પણ જેટલી ઇવેન્ટ્સ આવે એમાં પણ સપોર્ટ કરીએ છીએ.’ ‘લોકો ધંધો તો શરૂ કરી દે છે પણ પછી થોડું નુકસાન જવાથી બંધ કરી દે છે, એમને શું કહેશો?’‘નુકસાન કે પ્રોફિટ એ તો ધંધાનો પાર્ટ છે, નુકસાન જાય છે મતલબ તમે ધંધામાં છો.’ ‘PVR, આઇનોક્સ તો ફેમિલી જેવાં છે’ PVR, આઈનોક્સ જેવા જાયન્ટ હાથીની સામે કોમ્પિટિશનમાં કેવી રીતે ટકી શકો છો? રાહુલભાઈ ઇન્ડસ્ટ્રીની પોલ ખોલતા કહે, ‘કોમ્પિટિશન જેવું તો છે જ નહીં, આજે પણ જ્યારે અમને કોઈ મુશ્કેલી પડે કે ક્યાંય કોઈ સમજણ ન પડે કે કોઈ મૂંઝવણ થાય તો અમને PVR કે આઈનોક્સના ટોપ મેનેજમેન્ટને જ કૉલ કરીએ છીએ. એ લોકો અમને બહુ જ સારી રીતે સમજાવીને હેલ્પ કરે જ છે. ઇન શોર્ટ, બીજી બ્રાન્ડ અને અમે પરિવારની જેમ સાથે જ રહીએ છીએ.’ યંગ આંત્રપ્રેન્યોરને શું સલાહ આપશો? રાહુલભાઈ કહે, ‘યંગ આંત્રપ્રેન્યોરને સૌથી પહેલાં તો એ કહીશ કે કંઈ પણ ચાલુ કરતાં પહેલાં બહાર ફરો અને નેટવર્કિંગ કરો. દુનિયામાં ક્યાં ક્યાં શું ચાલી રહ્યું છે, કઈ કઈ ટેકનોલોજી માર્કેટમાં છે? એ બધું જ પહેલાં જાણો. અને કોની પાસેથી સલાહ લો છો એ ખાસ જુઓ, ભલે તમારી જ ફિલ્ડનો માણસ હોય, પણ સમજી વિચારીને કોઈ પાસેથી સલાહ લો, સાચા માણસની સલાહ જ તમને સક્સેસ સુધી લઈ જશે.’
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'
નમસ્તે, કાલના મહત્વના સમાચાર પર નજર કરીએ તો ઓસ્ટ્રેલિયામાં બોન્ડી બીચ પર જે હુમલો થયો તેનો હુમલાખોર પાકિસ્તાની નહિ પણ ભારતનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બીજી તરફ એલોન મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. એક જ દિવસમાં તેમની સંપત્તિમાં 15 લાખ કરોડનો વધારો થયો છે. મથુરામાં યમુના એક્સપ્રેસ-વે પર ધુમ્મસના કારણે 8 બસો અને 3 કારો અથડાતાં 13 લોકોનાં મોત થયાં છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. રાહુલ ગાંધી બુધવારે પેરિસમાં ભારતીય સમુદાયને મળશે 2. દિલ્હી-એનસીઆર વાયુ પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. 3. OnePlus 15R 5G સ્માર્ટફોન લોન્ચ થશે. કાલના મોટા સમાચારો 1. ઓસ્ટ્રેલિયામાં બોન્ડી બીચનો હુમલાખોર પાકિસ્તાની નહીં, ભારતીય હોવાનો દાવો:ભારતીય પાસપોર્ટ પર ફિલિપાઇન્સ ગયો, એક મહિના પહેલા હુમલાનું આયોજન કર્યું ઓસ્ટ્રેલિયામાં 14 ડિસેમ્બરે સિડનીના બોન્ડી બીચ પર યહૂદી લોકો પર હુમલો કરનાર આતંકવાદી ભારતીય હતો. આ દાવો CNNએ પોતાના એક રિપોર્ટમાં કર્યો છે. આ પહેલા મીડિયા રિપોર્ટ્સમાં આતંકવાદીના પાકિસ્તાની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. CNN અનુસાર ફિલિપાઇન્સના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે આતંકવાદી સાજિદ અકરમ તેના પુત્ર નવીદ સાથે ગયા મહિને 1 નવેમ્બરે ફિલિપાઇન્સ ગયો હતો. આ દરમિયાન સાજિદે ભારતીય જ્યારે તેના પુત્રએ ઓસ્ટ્રેલિયન પાસપોર્ટનો ઉપયોગ કર્યો હતો. તેઓ એક મહિનાથી હુમલાની તૈયારી કરી રહ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ઓપરેશન સિંદૂરના પહેલા દિવસે જ ભારત હારી ગયું હતું:કોંગ્રેસ નેતા ચવ્હાણ બોલ્યા: 7 મેની અથડામણમાં આપણું એક પણ વિમાન ન ઉડ્યું, જો ઉડ્યું હોત તો પાકિસ્તાન તેને પાડી દેત મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું કે ઓપરેશન સિંદૂરના પહેલા જ દિવસે ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. એરફોર્સના વિમાનોને તોડી પાડવામાં આવ્યા હતા. મંગળવારે પુણેમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ચવ્હાણે કહ્યું- 7 મેના રોજ થયેલી લગભગ અડધા કલાકની હવાઈ અથડામણમાં ભારતીય વિમાનો ઉડાન ભરવાની સ્થિતિમાં નહોતા, કારણ કે પાકિસ્તાન તરફથી તેમને તોડી પાડવાનો ખતરો હતો. આ જ કારણોસર એરફોર્સને સંપૂર્ણપણે ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યું હતું. તેમણે દાવો કર્યો કે જો ગ્વાલિયર, બઠિંડા કે સિરસાથી કોઈ વિમાન ઉડ્યું હોત, તો તેને તોડી પડાય એવી પૂરી આશંકા હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 3. મસ્ક દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ:એક દિવસમાં ₹15 લાખ કરોડ વધ્યા, કુલ નેટવર્થ 600 બિલિયન ડોલર થઈ, સ્પેસએક્સએ મસ્કને માલામાલ કર્યા દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ ઇલોન મસ્ક (Elon Musk) ની સંપત્તિ 600 બિલિયન ડોલર (₹54.50 લાખ કરોડ) ને પાર કરી ગઈ છે. મસ્ક આ નેટવર્થનો આંકડો સ્પર્શ કરનાર દુનિયાના પ્રથમ વ્યક્તિ બની ગયા છે. સ્પેસએક્સ (SpaceX) ના 800 બિલિયન ડોલરના વેલ્યુએશન અને IPO આવવાના સમાચાર બાદ મસ્કની સંપત્તિમાં એક જ દિવસમાં લગભગ 168 બિલિયન ડોલર (₹15 લાખ કરોડ) નો વધારો થયો. આ અંબાણીની કુલ નેટવર્થ 110 બિલિયન (₹10 લાખ કરોડ) થી પણ વધુ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. 8 બસ અને 3 કાર અથડાઈ, 13 જીવતાં ભૂંજાયા:17 થેલીઓમાં મૃતદેહોના ટુકડા લઈ જવાયા, 70 લોકો ઘાયલ, મથુરામાં ધુમ્મસના કારણે અકસ્માત મથુરામાં યમુના એક્સપ્રેસ-વે પર ધુમ્મસના કારણે 8 બસો અને 3 કારો અથડાઈ. ટક્કર થતાં જ ગાડીઓમાં આગ લાગી ગઈ. 13 લોકો જીવતા બળી ગયા. 70 લોકો ઘાયલ છે. મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે, કારણ કે બસોમાંથી કપાયેલા અંગો મળ્યા છે. પોલીસે તેમને 17 પોલિથીન બેગમાં ભરીને લઈ ગઈ છે. હવે ડીએનએ ટેસ્ટથી તેમની ઓળખ કરવામાં આવશે. આ દુર્ઘટના થાણા બલદેવ વિસ્તારમાં માઇલસ્ટોન 127 પર થઈ. પોલીસ, ફાયર બ્રિગેડ અને SDRFના 50 જવાનો અને 9 પોલીસ સ્ટેશનોની પોલીસે 6 કલાકમાં બચાવ કામગીરી પૂરી કરી. દુર્ઘટનાના કારણે એક્સપ્રેસ-વે પર 3 કિમી લાંબો જામ લાગી ગયો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 5. લોકસભામાં 'VB-G RAM G' બિલ રજૂ:પ્રિયંકા બોલી- સરકારને નામ બદલવાની ઘેલછા; થરૂરે કહ્યું- રામનું નામ બદનામ ન કરો મંગળવારે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે લોકસભામાં વિકસિત ભારત-રોજગાર અને આજીવિકાની ગેરંટી મિશન (ગ્રામીણ) (VB-જી રામ જી) બિલ, 2025 રજૂ કર્યું, જેનાથી ગૃહમાં ભારે હોબાળો થયો. કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું, અમે આ બિલનો વિરોધ કરીએ છીએ. દરેક યોજનાનું નામ બદલવાની ઘેલછા અગમ્ય છે. ચર્ચા અને પરામર્શ વિના બિલ પસાર ન કરો. તેને પાછું ખેંચો. વાંચો સંપૂર્ણ સમાચાર6. સુરત પોલીસનું ડબલ મર્ડર કેસના આરોપી પર ફાયરિંગ:બુટલેગર શિવા ટકલાએ પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ, ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયો સુરતના ગોડાદરા ડબલ મર્ડર કેસમાં ફરાર બુટલેગર શિવા ટકલા પર પોલીસે ફાયરિંગ કર્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. પોલીસે સ્વબચાવમાં ફાયરિંક કર્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. દેવત ગામ પાસે પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. સુરત પોલીસ શિવાને પકડવા ગઈ હતી ત્યારે તેણે પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. ઇજાગ્રસ્ત શિવાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. રાજ્ય સરકારે ગોગો પેપરના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો:પાનના ગલ્લાંથી લઈ અન્ય દુકાનદારો વેચાણ કરી શકશે નહીં, ભાસ્કર સ્ટિંગ બાદ નિર્ણય ડ્રગ્સ અને ગાંજા જેવી બદીઓ સામે લડતા ગુજરાતમાં નશા માટે વપરાતા ગોગો પેપર જેવા સાધનો શાકભાજી કે કરિયાણાની જેમ ઘરના ઉંબરે ડિલિવરી થઈ રહ્યા હોવાનો દિવ્ય ભાસ્કરે કરેલા સ્ટિંગ ઓપરેશનમાં ખુલાસો થયો હતો. જેમાં ઓનલાઇન ડિલિવરી પ્લેટફોર્મ બ્લિન્કિટ 'છૂપો ડ્રગ ડીલર' બનીને બેરોકટોક 'ગોગો પેપર' સપ્લાય કરી રહી હોવાનું સામે આવ્યું હતું. 15 ડિસેમ્બરે ભાસ્કરે પ્રસિદ્ધ કરેલા આ અહેવાલ બાદ સુરત SOGએ 17 બ્લિન્કિટના ગોડાઉન પર રેડ પાડી હતી. તેમજ ઓનલાઇન ચેક કરતા રાજ્યભરમાં ગોગો પેપર આઉટ ઓફ સ્ટોક હોવાનું સામે આવ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : દિલ્હીમાં AQI મહત્તમ 500ના સ્તરે, 228 ફ્લાઇટ્સ રદ:ખરાબ હવામાનને કારણે મેસ્સીની ફ્લાઇટ મોડી પડી, મોદીને મળી શક્યો નહીં વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : પહેલીવાર ઇથિયોપિયા પહોંચ્યા મોદી:PM અલીએ ગળે લગાવીને સ્વાગત કર્યું; પોતે કાર ચલાવીને હોટલ લઈ ગયા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : દિલ્હી સિક્યોરિટી સિસ્ટમથી સજ્જ થશે, કેપિટલ ડોમ તૈયાર:તેમાં 3 લેયર સામેલ, આઉટર રિંગમાં સિગ્નલ અને મિડલ રિંગમાં મિસાઈલો તહેનાત હશે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ઇમરજન્સી લેન્ડિંગ વખતે પ્રાઇવેટ જેટ ક્રેશ, 7નાં મોત:મેક્સિકોમાં અમદાવાદની જેમ જ બિલ્ડિંગ સાથે અથડાયું પ્લેન, થોડી જ સેકન્ડોમાં નીચે પડતાં આગનો ગોળો બન્યું વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ભારતમાં 43.4% ક્રિપ્ટો રોકાણ નાના શહેરોમાંથી:ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ 13% રોકાણકારો; આંધ્ર પ્રદેશમાં 10માંથી 6 રોકાણકાર મહિલાઓ વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : સૌરાષ્ટ્રનો 20 વર્ષીય ક્રેઇન્સ ફુલેત્રા હૈદરાબાદમાં સામેલ:બેઝ પ્રાઇસ પર ટીમે ખરીદ્યો; પ્રશાંત વીર-કાર્તિક શર્મા 14.20 કરોડમાં વેચાયા, બન્ને ખેલાડીઓને CSKએ ખરીદ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : 19 ડિસેમ્બરે માગશર માસની અમાસ:પવિત્ર નદીઓમાં સ્નાન અને પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરવાની પરંપરા, જાણો કયા-કયા શુભ કાર્યો કરવા વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન ખબર હટકે 1 કરોડ રૂપિયાની પોલિસી માટે પોતાની હત્યાનું નાટક રચ્યું મહારાષ્ટ્રના લાતુરમાં ગણેશ ચવ્હાણે ₹1 કરોડની પોલિસી મેળવવા માટે પોતાના મૃત્યુનો ખોટો દાવો કર્યો. તેણે એક નશામાં ધૂત અજાણી વ્યક્તિને લિફ્ટ આપી અને પછી પોતાની જ કારને આગ લગાવી દીધી. બળી ગયેલી કારમાં અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવતાં ગણેશ ચવ્હાણના મૃત્યુની શંકા જાગી, પરંતુ ઘટના પછી તેણે તેની ગર્લફ્રેન્ડને મોકલેલા મેસેજથી ભાંડો ફૂટી ગયો. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર:નંદાદેવીમાં ન્યુક્લિયર ડિવાઈસ કેમ છોડી ગયા હતા અમેરિકન જાસૂસો; ગંગા નદીમાં ઝેર ભળવાનો ખતરો, શું તે ફાટી પણ શકે છે? 2. ગ્રાઉન્ડ રિપોર્ટ : 'GRD મહિલા જવાનના આક્ષેપો ખોટા છે':ગર્ભાશય કાઢવા મામલે નવો વળાંક; પોલીસે કહ્યું- મહિલાના અગાઉ લગ્ન થયાં હતા, ડોક્ટર પાસે બધા પુરાવા છે 3. સ્ટાર્ટઅપ સ્ટોરીઝ-2 ‘અદાણીને પણ હું સાયબર સિક્યોરિટી પૂરી પાડું છું’:એથિકલ હેકર સન્ની વાઘેલા આજે ₹600 કરોડની ટેક ડિફેન્સ કંપનીના માલિક 4. પૂર્વ પ્રેમિકા વાહનનો નંબર જોઈ ગઈ, પ્રિ-પ્લાન્ડ મર્ડરનો થયો ખુલાસો:બે કલાક સુધી અંધારામાં લપાઈને ટ્રેક કર્યા, બાઇક પર જઈ રહેલા પિતા-પુત્રીને પીકઅપ ડાલાથી ટક્કર મારી ફંગોળ્યા 5. લગ્નમાં નોટો લૂંટી, મદને સાહિલને ગોળી મારી:માતાએ કહ્યું, દીકરો માત્ર 14 વર્ષનો હતો, મને મારી નાખવી હતી; આરોપી CISF કોન્સ્ટેબલ 6. સિડની હુમલો: 20 મિનિટ, 50 રાઉન્ડ ફાયરિંગ, 15 મોત:નજરે જોનારે કહ્યું- અંતિમ પ્રાર્થના વાંચી, લાગ્યું હવે મરી જઈશું; પોલીસ બધું જોતી રહી કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ રાશિફળ બુધવારનું રાશિફળ:વૃષભ રાશિના જાતકો નકામી દલીલોથી દૂર રહો, સિંહ રાશિના લોકો માટે મિલકત ખરીદવાનો શુભ દિવસ વાંચો સંપૂર્ણ સમાચાર
ધરપકડ:બરવાળામાંથી વિદેશી દારૂની 1596 બોટલ સાથે ભાવનગરનો શખ્સ ઝડપાયો
બરવાળા પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે મોડી રાત્રિના વિદેશી દારૂના જથ્થા સાથે ભાવનગરના શખ્સને ઝડપી પાડી દારૂની બોટલો નંગ-1596, સુપર કેરી ગાડી તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ.7,28,200નો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. પોલીસ વર્તુળના જણાવ્યા પ્રમાણે બોટાદ જિલ્લાના બરવાળા પોલીસ સ્ટેશનમાં અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સિધ્ધરાજસિંહ લાલભા ડાભી તથા પી.આઈ., એન.વી.વસાવા તથા સ્ટાફના માણસો 16 ડિસેમ્બરના મોડી રાત્રિના બરવાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા, બરવાળા બસ સ્ટેશન ખાતે વાહન ચેકિંગની કામગીરી કરતા હતા. તે દરમ્યાન બાતમી મળેલ કે, એક મારૂતિ સુઝુકી કંપનીની સુપર કેરી ગાડી નં.GJ-15-AT-6993 ધંધુકા તરફથી બરવાળા તરફ આવે છે. જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. પોલીસ સ્ટાફના માણસો સાથે બરવાળા બસ સ્ટેન્ડ ખાતેથી નીકળી બરવાળા ગામ નજીક ખોડીયાર મંદિર સામે રોડ ઉપર વોચ ગોઠવી. ઉપરોક્ત નંબરની સુપર કેરી ગાડી ધંધુકા તરફથી બરવાળા તરફ આવતા દેખાતાં તે ગાડીને હાથનો ઇશારો કરી ખોડીયાર મંદિર પાસે સાઇડમાં ઉભી કરાવી ડ્રાઇવર સીટ ઉપર બેઠેલ શખ્સનું નામ પૂછતાં પોતે જીગર ભરતભાઈ શ્રીમાળી (ઉ.વ.24,ધંધો.ડ્રાઇવિગ રહે,ભાવનગર, ચિત્રા માર્કેટીંગ યાર્ડ પાસે)હોવાનું જણાવેલ. ગાડીના ઠાઠામાં જોતાં પીળા કલરના પ્લાસ્ટીકનું મીણીયું ઉચું કરી જોતા જુદી જુદી બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-1596, કિ. રૂ.4,27,200 તથા મારૂતી સુઝુકી કંપનીની સુપર કેરી ગાડી કિંમત રૂ. 3 લાખ, એક મોબાઇલ ફોન કિં.રૂ.1000 મળી કુલ રૂ.7,28,200 ના મુદામાલ સાથે આરોપી જીગર ભરતભાઇ શ્રીમાળીને પકડી કાયદેસરની કાર્યવાહી કરી તેના વિરૂધ્ધ પ્રોહી. એક્ટ મુજબ ગુનો દાખલ કરેલ છે.
સમાધાન:સાસરીમાં ઝઘડા બાદ પિયરમાં આવેલી મહિલાનું દોઢ માસનાં બાળક સાથે મિલન
બોટાદ જિલ્લાના એક ગામમાં પીડિત મહિલાને તેના દોઢ માસના બાળકથી અલગ કરી દેવામાં આવતાં સંવેદનશીલ પરિસ્થિતિ સર્જાઈ હતી. આ અંગે પીડિત મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર ફોન કરી મદદ માગી હતી. આ બનાવની વિગત પ્રમાણે મહિલાનાં લગ્નને અંદાજે બે વર્ષનો સમય થયો છે અને તેમને દોઢ માસનું એક સંતાન છે. 15 દિવસ પહેલા સાસરીયામાં થયેલા ઘરેલું ઝઘડાને કારણે મહિલા પોતાના પિયરમાં આવી હતી. તેમના પતિ કોઈ જાણ કર્યા વિના બાળકને સાસરામાં લઈ ગયા હતા, જેના કારણે સ્તનપાન કરા વતા બાળકની ચિંતા થતા મહિલાએ તાત્કાલિક 181 અભયમ વાન ની મદદ માગી હતી. જેથી 181 અભયમ ટીમના કાઉન્સેલર સોંડાગર જલ્પાબેન, મહિલા પોલીસ કોન્સ્ટેબલ હિરલબેન ઝાઝરૂકિયા,પાયલોટ હરેશભાઈ જમોડ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સાથે જ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનની 112 જનરક્ષક ટીમના પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ ચૌહાણ અને કિશનભાઈ પણ મહિલા મદદ માટે હાજર રહ્યા હતા. 181 અને 112 ટીમ દ્વારા બંને પક્ષોને રૂબરૂ મળી કાઉન્સેલિંગ કરવામાં આવતા મહિલાએ જણાવ્યું હતું કે, સાસુ કામ બાબતે બોલતા રહેતા હોય છે અને પતિ સાસુના પક્ષે બોલતા હોવાથી વારંવાર ઝઘડા થાય છે. હાલ બાળક દોઢ માસનું અને સ્તનપાન કરતું હોવાથી તેને માતાની ખૂબ જરૂર છે.જેથી ટીમ દ્વારા સાસરા પક્ષને સમજાવેલ કે બાળક પર માતા અને પિતા બંનેનો હક હોય છે, પરંતુ ઘરેલુ ઝઘડાના કારણે દોઢ માસના બાળકને તેની માતાથી અલગ કરવું યોગ્ય નથી. બાળકના હિતને ધ્યાનમાં રાખી તેને હાલ માતા પાસે જ રાખવું જરૂરી છે. 181 અભયમ અને 112 જનરક્ષક ટીમની સમજાવટ અને મધ્યસ્થતાથી બંને પક્ષોમાં સમાધાન થયું હતુ અને સાસરીયા પક્ષે રાજીખુશીથી બાળક માતાને સોંપી દીધું હતુ. દોઢ માસનું બાળક પરત મળતાં મહિલાએ આનંદ વ્યક્ત કર્યો હતો તથા 181 અભયમ અને 112 ટીમનો આભાર માન્યો હતો.
હુકમ:જવાબ માટે 15 દી’ની નોટિસ આપનાર DDOએ ચિત્રાવડ(પાટી)ના સરપંચને સસ્પેન્ડ કરવો પડ્યો
રાજકોટના જામકંડોરણા તાલુકાના ચિત્રાવડ(પાટી)માં મહિલા પર દુષ્કર્મ ગુજારનાર સરપંચને સસ્પેન્ડ કરવામાં નોટિસનું નાટક કરનારી જિલ્લા પંચાયતે આખરે ભાસ્કરના અહેવાલ બાદ નોટિસ પિરિયડ પૂરો થાય કે પછી સરપંચનો જવાબ આવે તે પહેલાં સસ્પેન્ડ કરવા હુકમ કરવો પડ્યો છે. જામકંડોરણાના ચિત્રાવડ(પાટી)ના સરપંચ જયેન્દ્રસિંહ ચુડાસમાએ મહિલા પર દુષ્કર્મ ગુજાર્યુ હતું. પીડિતા પોલીસ ફરિયાદ કરવા ગઈ તો ત્યાં પણ પોલીસે ફરિયાદ લેવાને બદલે સમાધાન કરવા દબાણ કર્યું હતું. ભાસ્કરના અહેવાલ બાદ પોલીસ ફરિયાદ નોંધાતા આરોપી જેલહવાલે થયો હતો અને જામીન પણ મળ્યા ન હતા. આવા નૈતિક અધ:પતનવાળા ગુનામાં સરપંચને સીધા સસ્પેન્ડ કરવાની જોગવાઈ છે. જોકે 28 નવેમ્બરે ફરિયાદ નોંધાયા બાદ અહેવાલ મગાવાયો હતો અને ટીડીઓ અને પોલીસના અભિપ્રાય બાદ ડીડીઓએ 5 ડિસેમ્બરે નોટિસ કાઢી હતી. આ નોટિસમાં પણ તેણે સરપંચને જવાબ દેવા માટે 15 દિવસનો સમય આપ્યો હતો. આરોપી જેલમાં હોય તો કેવી રીતે જવાબ આપે? 24 કલાક જેલવાસ હોય તો જવાબ લેવાની પદ્ધતિ કે નિયમ છે? આવા પ્રશ્નો ડીડીઓને કરાતા જવાબ આપી શક્યા ન હતા. 15 ડિસેમ્બરે તો સેશન્સ કોર્ટે પણ જામીન નામંજૂર કરી દીધા હતા પણ ડીડીઓ હજુ સસ્પેન્ડ કરતા ન હતા અને નોટિસ પિરિયડ કે જવાબની રાહ જોવાતી હતી. આ મામલે પણ ભાસ્કરે ફરી અહેવાલ પ્રસિદ્ધ કરતાં નોટિસ પિરિયડ પૂરો થાય કે પછી જવાબ આવે તે પહેલાં સસ્પેન્ડ કરવાનો હુકમ કરવો પડ્યો છે. દુષ્કર્મ પીડિતાનું નામ જાહેર કરનાર ડીડીઓ સામે કાર્યવાહીમાં તંત્ર લાજ કાઢે છેસરપંચને ઉદ્દેશીને ગ્રામપંચાયત કચેરીના સરનામે એટલે કે જાહેર કચેરીએ નોટિસ આપનાર ડીડીઓ અનંદુ સુરેશ ગોવિંદે નોટિસમાં દુષ્કર્મ પીડિતાનું નામ લખી નાખ્યું હતું. આ રીતે દુષ્કર્મ પીડિતાની ઓળખ જાહેર કરી દીધી હતી જે મામલે પીડિતાના વકીલ કે.બી. બાલધાએ ડીડીઓને નોટિસ ફટકારતા સમગ્ર મામલો બહાર આવ્યો છે. દુષ્કર્મ પીડિતાની ઓળખ જાહેર કરવી ગંભીર ગુનો છે. તાજેતરની વાત કરીએ તો આટકોટમાં દુષ્કર્મ પીડિતામાં નામ જાહેર ન કર્યું પણ તેની આસપાસના લોકોના ફોટો બ્લર ન કર્યા તો પણ પ્રગતિ આહીર સામે ગુનો નોંધાયો હતો. અમિત ખૂંટ આપઘાત કેસમાં પણ પીડિતાનું નામ જાહેર કરવા બદલ મહિલા એડવોકેટ ભૂમિ પટેલ સામે ગુનો નોંધાયો હતો. આ બંને સામે 24 કલાકમાં જ કાર્યવાહી થઈ હતી પણ પોતાની સહીથી નોટિસ આપી પીડિતાનું નામ જાહેર કરનાર ડીડીઓ સામે કાર્યવાહી કરવામાં આખું તંત્ર લાજ કાઢી રહ્યું છે.
ધરપકડ:રાજકોટમાં NRIના બંધ મકાનમાંથી તાંબાના વાસણ ચોરી કરનાર નણંદ-ભોજાઈ ઝડપાઈ
શહેરના પ્રહલાદ પ્લોટ વિસ્તારમાં ઘરમાંથી તાંબાના વાસણ ચોરી કરનાર ચુનારાવાડ ચોક પાસે રહેતા નણંદ-ભોજાઈને પોલીસે ઝડપી લીધા હતા. એ-ડિવિઝન પોલીસ મથકના પીઆઈ બી.વી.બોરીસાગરની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે રામનાથપરા ભાણજીદાદાના પુલ પાસે રોડ પર એક મહિલાને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધી હતી. પોલીસે આ મહિલાની પૂછતાછ કરતા તેનું નામ લક્ષ્મી વિજયભાઈ સોલંકી(ઉ.વ.25, રહે. ચુનારાવાડ ચોક શેરી નં.1 મચ્છીપીઠની બાજુમાં) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ મહિલા પાસે રહેલી થેલી જોતા તેમાં જૂનું ચાર ખાનાનું તાંબાનું ટિફિન જોવા મળ્યું હતું. જેથી પોલીસે તેનું બિલ માગતાં તે ગભરાઈ ગઈ હતી. ત્યારબાદ મહિલાને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ હાથ ધરતા ટિફિન તેણે પ્રહલાદ પ્લોટમાં બંધ મકાનમાંથી તેની નણંદ સાથે મળી ચોરી કર્યાની કબૂલાત આપી હતી. મકાનમાંથી બીજા વાસણો પણ ચોરી કર્યાનું જણાવતા પોલીસે અન્ય આરોપી સોનલ રાયધનભાઈ સોલંકી(ઉ.વ.30, રહે. ચુનારાવાડ ચોક શેરી નં.1 મચ્છીપીઠની બાજુમાં)ને પણ ઝડપી લઇ આ નણંદ-ભોજાઈ પાસેથી રૂ.13 હજારની કિંમતના ચોરીના તાંબાના વાસણો કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઓમ પ્રિયદર્શિની સોસાયટીમાં રહેતા ખંતીલભાઈ મહેશભાઈ ગોહિલ(ઉં.વ.23)દ્વારા આજી ડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રવિ ગોસ્વામીનું નામ આપ્યું હતું. ખંતીલભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તે ગોંડલ ચોકડી ખાતે આવેલ માતૃકૃપા ટ્રાવેલ્સમાં ચારેક વર્ષથી નોકરી કરે છે. રાજ ગોસ્વામીનો ભાઈ રવિ ગોસ્વામી તેની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે, તને શેની હવા છે તારી સાથે લપ કરવાની થાય છે. તેમ કહીને ગાળો ભાંડતા સાથે નોકરી કરતા અન્ય મિત્રો પણ ત્યાં ભેગા થઇ ગયા હતા. ત્યારે જતા જતા આ રવિ ગોસ્વામીએ કહ્યું કે, તને તો છરીના ઘોદા મારીને પતાવી જ દેવો છે. તેમ કહી ધમકી દેતા આ મામલે આજી ડેમ પોલીસ મથકમાં આરોપી સામે ગુનો નોંધી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
દરોડો:મહાપાલિકાએ શીંગ, દાળિયા, તલની ચીકી અને કચરિયાના 8 નમૂના લીધા
શહેરમાં શિયાળાની શરૂઆત સાથે જ સ્વાસ્થ્ય વર્ધક પાકોનું વેચાણ વધતા રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ સદર બજાર અને ચુનારાવાડ ચોકમાં લાખાજીરાજ ઉદ્યોગનગરમાં 3 વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરી શીંગ-દાળિયા અને તલની ચીકી તથા તલનું કચરિયું સહિત કુલ 8 નમૂના લઇ ચકાસણી માટે ફૂડ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. ફૂડ વિભાગના સૂત્રોએ જણાવ્યા અનુસાર સદર બજારમાં સંગમ વેરાઇટી સ્ટોર્સમાંથી ગોળ શીંગ ચીકી, શીંગ માવા ચીકી, રોઝ પેટલ શીંગ ચીકી, દાળિયાની ચીકી, ઓમ સિઝન સ્ટોરમાંથી દાળિયાની ચીકી, તલનું કચરિયું અને ચુનારાવાડ ચોકમાં લાખાજીરાજ ઉદ્યોગનગર-6માં આવેલા ભાવના ફૂડ્સમાંથી શીંગની ચીકી અને તલની ચીકીના નમૂના લઇ ચકાસણી માટે ફૂડ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. આ ઉપરાંત શહેરના પ્રેમમંદિર અને કિડની હોસ્પિટલ પાછળના વિસ્તારમાં ખાદ્યચીજોનું વેચાણ કરતાં 19 ધંધાર્થીને ત્યાં ચકાસણી કરવામાં આવી હતી અને 6 ધંધાર્થીને ફૂડ લાઇસન્સ મેળવવા સૂચના આપવામાં આવી હતી. આ છ વેપારીઓને ફૂડ લાઇસન્સ લેવા સૂચનાચામુંડા મેગી, બાલાજી છોલે ભટુરે, સ્વાતિ મદ્રાસ કાફે, ક્રિષ્ના સ્નેક્સ, રાધે જ્યૂસ, દિલખુશ પાણીપૂરી.
કામગીરી:સ્ટેમ્પ ડ્યૂટીના ત્રણ કર્મચારીએ 3 માસમાં 3.03 કરોડની સ્ટેમ્પ ડ્યૂટીની વસૂલાત કરી
સરકારના કમાઉ દીકરા જેવી અનેક કચેરીઓ સ્ટાફની અછત ભોગવી રહી છે ત્યારે રાજકોટની સ્ટેમ્પ ડ્યૂટી નાયબ કલેક્ટરની કચેરીમાં એક અધિકારી અને માત્ર બે કર્મચારી હોવા છતાં પણ છેલ્લા ત્રણ મહિનામાં રૂ.3.03 કરોડથી વધુની બાકી નીકળતી સ્ટેમ્પ ડ્યૂટીની વસૂલાત કરી છે. જેમાં ખાસ કરીને જીઆઇડીસી એલોટમેન્ટ લેટર પરના વ્યવહાર, મોર્ગેજ અને ભાગીદારી પેઢી સહિતના કેસ તેમજ 32-કના રૂટિન કેસનો સમાવેશ થાય છે. રાજકોટની જૂની કલેક્ટર કચેરી ખાતે આવેલ સ્ટેમ્પ ડ્યૂટી નાયબ કલેક્ટર કચેરીમાં લાંબા સમયથી કારકુનથી લઈ અનેક જગ્યાઓ ખાલી પડી છે છતાં ના.કલેક્ટર ઇશિતા મેર અને અન્ય બે કર્મચારી દ્વારા છેલ્લા ત્રણ મહિનામાં જ જીઆઈડીસીના કેસમાં રૂ.1,59,54,138 લોન-મોર્ગેજ, ભાગીદારી પેઢી તેમજ અન્ય કલમ 33ના કિસ્સામાં રૂ.1,55,35,970ની વસૂલાત કરી હતી. સાથે જ 32-કના કિસ્સામાં રૂ.8,24,144ની વસૂલાત કરી સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર માસ ડર્મિટાયન કુલ રૂ.3,03,69,670ની વસૂલાત કરી હતી.
આત્મહત્યા:રાજકોટમાં ખાનગી હોસ્પિટલની નર્સનો રૂમમાં ફાંસો ખાઈ આપઘાત
રાજકોટમાં રહેતી મૂળ ગીર-સોમનાથની યુવતીએ ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતક યુવતી રાજકોટમાં ભાડેથી રહેતી અને ખાનગી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે નોકરી કરતી હતી. બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, શહેરના મટુકી રેસ્ટોરન્ટની બાજુમાં ગોવિંદરત્ન ગ્રીનસિટી 04માં રહેતી મિતલબેન મનુભાઈ બામણિયા(ઉં.વ.22)નામની યુવતીએ ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા 108ને જાણ કરતાં 108 ઇએમટીના તબીબે જોઈ તપાસી યુવતીને મૃત જાહેર કરી હતી. બનાવ અંગે જાણ થતા રાજકોટ તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટે.કિશનભાઈ સહિતના સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. તપાસમાં આપઘાત કરનાર મિતલબેન મૂળ ગીર-સોમનાથ જિલ્લાના ઉનાના ડામસા ગામની હતી અને રાજકોટ છેલ્લા બે વર્ષથી બહેનપણીઓ સાથે રહેતી હતી. તેમજ પ્રતિષ્ઠા હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે કરતી હતી. તે બે બેન અને એક ભાઈમાં સૌથી મોટી હતી. આપઘાતનું કારણ જાણવા પોલીસે કાર્યવાહી યથાવત્ રાખી છે. સૌથી પહેલા ઘટનાસ્થળે મૃતક યુવતીનો મંગેતર પહોંચ્યો હતો. મિતલબેનનું સગપણ ઉનાના પોબ ગામના યુવક સાથે થયું હતું. યુવક છાપરાની રમકડાં બનાવતી કંપનીમાં કામ કરે છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદ:ગૌશાળામાં બુકાનીધારી ગેંગે પ્રમુખ પર હુમલો કરી 2.90 લાખની મતાની લૂંટ
પડધરીના નાનાવડામાં આવેલી ગૌશાળામાં ખાબકી ગૌશાળાના પ્રમુખ પર હુમલો કરી પાંચ લૂંટારુ રોકડ, મોબાઇલ અને ટીવી સહિત કુલ રૂ.2.90 લાખની માલમતા લૂંટી ગયા હતા. બુકાનીધારી પાંચેય લૂંટારુ ગુજરાતી બોલતા હતા. નાનાવડામાં રહેતા અને ગામમાં આવેલી દાતાર ગૌશાળામાં સેવાપૂજા કરતાં ગૌશાળાના પ્રમુખ જયંતીભાઇ ઉર્ફે હસુબાપુ કુરજીભાઇ ઠુમ્મરે (ઉ.વ.62) પડધરી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાંચ અજાણ્યા બુકાનીધારી હોવાનું કહ્યું હતું. જયંતીભાઇ ઠુમ્મરે ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાત્રિના ત્રણેક વાગ્યે પોતે ગૌશાળામાં ખાટલો નાખીને સુતા હતા, તેમને નીંદર આવતી નહીં હોવાથી ઓસરીમાં રહેલા સીસીટીવી કેમેરા તરફ નજર કરતાં કેમેરો કોઇએ ફેરવી નાખ્યાનું લાગતાં તે ઊભા થયા હતા તે સાથે જ 35થી 40 વર્ષની વયના ત્રણ બુકાનીધારી તેમની પાસે ધોકા સાથે ધસી આવ્યા હતા અને ધોકાના ઘા મારીને ગુજરાતીમાં કહ્યું હતું કે, તારા પાસે જે કાંઇ પાંચ દશ લાખ રૂપિયા હોય તે આપી દે, જયંતીભાઇએ પોતાની પાસે આટલી રકમ નહીં હોવાનું કહેતા ત્રણેય શખ્સે તેમને ગોદડું ઓઢાડી દઇ ખાટલામાં સુવડાવી દીધા હતા અને ત્રણેય તેમના પર બેસી ગયા હતા. અન્ય બે બુકાનીધારી ગૌશાળાના રૂમની ચાવી લઇને અંદર ઘુસ્યા હતા અને વીસેક મિનિટ બાદ તે પરત આવ્યા હતા, દરમિયાન ત્રણેય શખ્સે જયંતીભાઇના ખિસ્સામાં રહેલા રોકડા રૂ.10 હજાર અને તેમની પાસે રહેલો રૂ.5 હજારનો મોબાઇલ લૂંટી લીધો હતો. ત્યારબાદ પાંચેય શખ્સ જયંતીભાઇને લઇને ગૌશાળાના રસોડા પાસેની દીવાલ કૂદીને જતાં રહ્યા હતા, લૂંટારુઓ નાસી ગયા બાદ જયંતીભાઇએ અન્ય લોકોને બોલાવ્યા હતા અને તપાસ કરતાં ગૌશાળાની અંદર રહેલા રૂમના કબાટમાં ગાયોના ઘાસચારા માટે રાખેલા રૂ.2.70 લાખ રોકડા તેમજ સીસીટીવી કેમેરા માટેનું ટીવી પણ લૂંટારુ લઇ ગયાનું સ્પષ્ટ થયું હતું. મધરાત્રિના લૂંટારુઓના આતંકથી પડધરી પંથકના ગ્રામજનોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.
જેઇઇ એડવાન્સ 2026માં ટોપનો રેન્ક મેળવવાનો સૌથી મોટો પડકાર હવે સરળ બની ગયો છે. શહેરના પ્રતિષ્ઠિ કોચિંગના શિક્ષક અને આઇઆઇટી એક્સપર્ટ્સે સિલેબસનું વિશ્લેષ્ણ કરીને દિવ્ય ભાસ્કરને જણાવ્યું છે કે હવે આખી બુક્સ નહીં, પણ “હાઈ-વેઇટેજ” ચેપ્ટરો પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. આ સ્ટ્રૅટેજી વિદ્યાર્થીઓને 360માંથી 120 પ્લસ માર્ક્સ મેળવવામાં મદદ કરી શકે છે, જેનાથી વિદ્યાર્થીઓ દેશની શ્રેષ્ઠ આઈઆઈટીમાં સરળતાથી પ્રવેશ મેળવી શકે છે. જેમાં ફિઝક્સમાં ઓપ્ટિક્સ, થર્મોડાયનેમિક્સ અને ઇલેક્ટ્રોસ્ટેટિક્સ, રસાયણશાસ્ત્રમાં કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી અને કેમિકલ કાઇનેટિક્સ તેમજ મેથેટિક્સમાં વેક્ટર 3D, ડેફીનાઈટ ઈન્ટિગ્રેશન અને પ્રોબેબિલિટી જેવા વિષયો સતત 40%થી વધુ સ્કોરિંગ પોટેન્શિયલ ધરાવે છે. પરીક્ષામાં શ્રેષ્ઠ રેન્ક લાવવા માટે માત્ર સખત મહેનત નહીં, પરંતુ આ સ્માર્ટ ટાર્ગેટિંગ સ્ટ્રેટેજી અપનાવવી અનિવાર્ય છે. છેલ્લા મહિનાઓમાં આ સુપરચેપ્ટર્સનું ઊંડાણપૂર્વક રિવિઝન અને પ્રેક્ટિસ તમને સ્પર્ધામાં આગળ રાખશે. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સના ગોલ્ડન ટોપિક્સ 1.ફિઝિક્સમાં 70% સ્કોર કરવા MECMO ફોર્મ્યુલા- ફિઝિક્સના સ્કોરને મહત્તમ કરવા માટે IIT નિષ્ણાતોની સ્ટ્રૅટેજી: મિકેનિક્સ, ઇલેક્ટ્રિસિટી અને મેગ્નેટિઝમ, અને મોર્ડન ફિઝિક્સનું પ્રભુત્વ રહે છે.- વેઇટેજ: મોર્ડન ફિઝિક્સ (20 માર્ક્સ) અને થર્મોડાયનેમિક્સ (12 માર્ક્સ) માંથી આશરે 8 પ્રશ્નો પૂછાય છે. જેમાં 12-12 માર્ક્સનો ફાળો મળે છે.- ફોર્મ્યુલા: આ MECMO (મિકેનિક્સ, EM, કરંટ, મોર્ડન, ઓપ્ટિક્સ) ફોર્મ્યુલા દ્વારા 70% થી વધુ સ્કોર સુરક્ષિત કરી શકાય છે.પદ્ધતિ: આ 5 કોર એરિયાના વૈચારિક અને સૂત્ર આધારિત પ્રશ્નોની નિયમિત પ્રેક્ટિસ કરવી. 2.કેમેસ્ટ્રીમાં ECO સ્ટ્રેટેજી—ન્યુમેરિકલ્સ, રિએક્શનનું સંકલન- કેમેસ્ટ્રીમાં સરળતાથી સ્કોર કરવા માટે ECO (ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, કોઓર્ડિનેશન કેમિસ્ટ્રી, ઓર્ગેનિક રિએક્શન્સ) ફોર્મ્યુલા 50%થી વધુ માર્ક્સ મેળવી શકાશેે.- હાઈ-વેઇટેજ: સૌથી વધુ વેઇટેજ (12 માર્ક્સ) સંકલન રસાયણશાસ્ત્ર અને આવર્ત કોષ્ટકમાંથી આવે છે.- ફિઝિકલ: ભૌતિક રસાયણશાસ્ત્રમાં, થર્મોડાયનેમિક્સ પર ધ્યાન આપીને સૂત્ર-આધારિત દાખલા ઉકેલવા જરૂરી છે.- ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક: ઓર્ગેનિકમાં નામવાળી પ્રતિક્રિયાઓ અને ઇનઓર્ગેનિકમાં આવર્ત વલણોનું સતત પુનરાવર્તન જ તમને સારો સ્કોર અપાવશે. 3.મેથેમેટિક્સમાં ICC-VA કી- કૅલ્ક્યુલસ, જ્યોમેટ્રીનો માસ્ટર પ્લાન- ગણિતનો સૌથી મોટો પડકાર ઉકેલવા માટે, વિદ્યાર્થીઓએ ICC-VA (ઇન્ટિગ્રલ કૅલ્ક્યુલસ, કોઓર્ડિનેટ જ્યોમેટ્રી, વેક્ટર આલ્જીબ્રા) પર માસ્ટરી મેળવવી જોઈએ. - વેઇટેજ: કૅલ્ક્યુલસ (લિમિટ્સ, ઈન્ટિગ્રલ) (12+12), કોઓર્ડિનેટ જ્યોમેટ્રી (12), અને વેક્ટર/3D જ્યોમેટ્રી (8) સૌથી વધુ સ્કોરિંગ ગણાય છે.- સફળતાની ચાવી: કૅલ્ક્યુલસના મૂળભૂત સિદ્ધાંતો અને શંકુ વિભાગો ના સૂત્રોનું દૈનિક પુનરાવર્તન કરવું. નિયમિત પ્રેક્ટિસથી જ સમસ્યા-નિરાકરણની ઝડપ વધશે. 3 સ્ટેપ પ્લાનને સમજો
ધરપકડ:53 કરોડની ચીટિંગમાં બે ઝડપાયા, સાડીના ધંધાના નામે 11 ખાતા ચીની ગેંગને વેચ્યા હતા
સરથાણામાં ભાડેથી દુકાન લઈ તેમાં સાડીનો ધંધો બતાવી બે મિત્રોએ બેંકમાંથી 11 કરંટ ખાતાઓ ખોલાવ્યા હતા. પછી આ કરંટ ખાતા ચાઇનીઝ ગેંગને લાખોની રકમ લઈ વેચી દીધા હતા. ચાઇનીઝ ગેંગએ આ ખાતાનો ઓનલાઇન સાઇબર ફ્રોડમાં ઉપયોગ કરી 53 કરોડના ટ્રાન્જેકશનો કર્યા હતા. આ બાબતે એનસીસીઆરપીના પોર્ટલ પર અલગ અલગ રાજ્યોમાં 57 ફરિયાદો ચીટિંગની થયેલી છે. આ ઠગ ટોળકીએ સુરતમાં એક વ્યકિતને શેરબજારમાં રોકાણના નામે 30 લાખની રકમ પડાવી હતી. 30 લાખની રકમમાંથી 20 લાખની રકમ આરોપી ધર્મેશના ખાતામાં જમા થઈ હતી. જેના કારણે સાઇબર ક્રાઇમે ટેકનીકલ સર્વલન્સના આધારે બન્ને દબોચી લીધા છે. પકડાયેલા આરોપીમાં એકનું નામ ધર્મેશ પ્રેમજી ચોપડા(34)(રહે,મુક્તિધામ સોસા,પુણાગામ,મૂળ રહે,ભાવનગર) અને બીજાનું નામ હિતેશ ભાયાભાઈ ચકલાસીયા(33)(રહે,બાલક્રિષ્ના પેલેસ, કામરેજ, મૂળ રહે, ભાવનગર) છે. મોબાઇલ-4, ડેબિટ કાર્ડ-5,ચેકબુક-7 ક્યુઆર કોડ-2,રબર સ્ટેમ્પ-3, રોકડ 1.35 લાખ 11 કરંટ ખાતામાં 53.09 કરોડની 57 ફરિયાદો થયેલી તેની વિગતો મહારાષ્ટ્ર 9 કર્ણાટક 9 તામિલનાડુ 8 ગુજરાત 6 ઉતરપ્રદેશ 5 આંધપ્રદેશ 4 તેલગાંણા 4 કેરલ 3 પંજાબ 3 વેસ્ટ બંગાળ 2 મધ્યપ્રદેશ 1 દિલ્હી 1 હિ. પ્રદેશ 1 આસામ 1 હિતેશને 50 લાખ કમિશન મળ્યુંએક કરંટ ખાતા પર ધર્મેશને હિતેશે દોઢ લાખ આપ્યા હતા. ધર્મેશે હિતેશને 5 કરંટ ખાતા આપ્યા હતા. જેમાં તેને 7.50 લાખની રકમ હિતેશે આપી હતી. જ્યારે હિતેશ મુંબઈ ખાતે રહેતા યશને કરંટ ખાતા આપી દેતો હતો. જેમાં તેને ટ્રાન્જેકશન પર 2 ટકા કમિશન મળતું હતું. ટૂંકમાં હિતેશને 50 લાખથી વધુ કમિશન મળ્યુ હોવાની વાત છે. એપથી વિગત મોકલતા હતાઆરોપી ફોનમાં ચાઇનીઝ એપ ડાઉનલોડ કરી તેમાં કરંટ ખાતાનો નંબર, ફોન નંબર સહિતની વિગતો મોકલતા. જેથી ચાઇનીઝ ગેંગ વિદેશમાં બેસી ઓનલાઇન સાઇબર ફ્રોડમાં આ ખાતાનો ઉપયોગ કરતી હતી. ફર્મનું નામ બદલી ખાતા ખોલાવ્યાધર્મેશ અને હિતેશ 8 વર્ષ પૂર્વે સરકારી પરીક્ષા સમયે મળ્યા હતા. ધર્મેશને ભાવનગરથી હિતેશે બોલાવી સરથાણામાં એક દુકાન ભાડેથી લીધી હતી. પછી એક જ દુકાનમાં ફર્મના નામ બદલી 11 ખાતા ખોલાવ્યા હતા.
રહીશોને હાલાકી:રત્નમાલા બ્રિજનો રેમ્પ 7મી સુધીમાં શરૂ નહીં થાય તો કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી
કતારગામના રત્નમાલા બ્રિજની કામગીરી ધીમી હોય અમરોલીના રહીશોને હાલાકી પડી રહી છે. મેયર દક્ષેશ માવાણીએ બ્રિજ સેલના ઇજનેર જયરામ રામજીવાલા તથા કોન્ટ્રાકટર રચના કન્સ્ટ્રકશનને આડેહાથ લીધા હતા. રેમ્પની કામગીરી 5 વર્ષથી ચાલી રહી હોવાની ફરિયાદ મળતાં મેયરે સ્પષ્ટ સૂચના આપી હતી કે, 7 જાન્યુઆરી સુધીમાં રેમ્પ શરૂ નહીં તાય તો કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરાશે. ‘નાગરિકો હેરાન થાય તેમાં તમને આનંદ મળે છે?’મેયરે ખુલાસો માંગતાં અધિકારીએ ગોળગોળ જવાબ આપ્યો હતો, જેથી મેયરે કહ્યું હતું કે, ‘તમને શહેરીજનોની કોઈ પડી નથી. લોકો હેરાન થાય તેમાં તમને આનંદ મળતો હોય એવું લાગે છે.’ કોન્ટ્રાકટર કામમાં વિલંબ કરતા હોવા છતાં કોઈ કાર્યવાહી કેમ થતી નથી? શું કોન્ટ્રાકટર તમારા સગાં છે કે તેમને છાવરી રહ્યા છો? એવા સવાલો કરી કાર્યપાલક ઇજનેરનો પણ ઉધડો લીધો હતો તેમજ 7 જાન્યુઆરી સુધીમાં અમરોલી તરફના રેમ્પનું કામ પૂરું ન થાય તો શિક્ષાત્મક કાર્યવાહીની ચિમકી પણ ઇજારદારને આપી હતી. વરાછા વલ્લભાચાર્ય બ્રિજનો રેમ્પ ફેબ્રુઆરીમાં પૂર્ણ થશેમેયર દક્ષેશ માવાણીએ વરાછા મેઇન રોડ પરના ફલાયઓવર બ્રિજને જોડતા વલ્લભાચાર્ય ચોક પાસેના રેમ્પની કામગીરીનું પણ સાથે રિવ્યૂ કર્યું હતું. જેમાં કોન્ટ્રાકટરે 15 ફેબ્રુઆરી સુધીમાં રેમ્પનું કામ પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી હોવાનું મેયર માવાણીએ જણાવ્યું હતું.
સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં ત્રીજા ક્રમે ધકેલાયેલા સુરતમાં પ્રદૂષણના ડેટા મેળવતા 3 AQI સેન્ટર પૈકી વરાછા-લિંબાયતમાં સવા કરોડના ખર્ચે ઇન્સ્ટોલ કરાયેલા સેન્ટર બંધ થયા પછી મશીનરી ક્યાં છે તે પણ વિભાગને ખબર નથી. કેબિનમાં ભંગાર ભેગો કરાયો છે. સાયન્સ સેન્ટરના AQI પ્લાન્ટ પાછળ જ 62 લાખનો ખર્ચ કરી એજન્સીને 5 વર્ષ સંચાલન સોંપાયું છે. જોકે ત્રણેય સેન્ટરો પૈકી વરાછા-લિંબાયતના સેન્ટર કોવિડ પછીથી બંધ છે. AQIના આંકડા દર્શાવવા 22 સ્થળે ડિસ્પ્લે છે જેના ડેટા આ 3 સેન્ટરથી એકત્રિત થતા હતા. વરાછા અને લિંબાયતમાં તો અમેરિકન સિસ્ટમ મૂકાઈ હતી. ગત વર્ષે ઔદ્યોગિક વિસ્તારોમાં 3,696 પ્રદૂષણ કેસ નોંધાયા હતા, જેમાંથી ફક્ત 81 સામે કાર્યવાહી થઈ હતી. હવે નવા કેમેરા મૂકાયા છે તેમાં હાલમાં રેકોર્ડિંગ સ્ટોર નહીં કરાય. PTZ 360 કેમેરા 20 મિનિટ સુધી ઝેરી ધુમાડા છોડતી ફેક્ટરીઓને શોધી કાઢશે સચિન, પાંડેસરા, હજીરામાં પ્રદૂષણ નિયંત્રિત કરવા PTZ 360 કેમેરાનો ઉપયોગ કરાશે. શરૂઆતમાં GPCBએ સચિન GIDCમાં હાઇ-ડેફિનેશન PTZ 360 કેમેરા ઇન્સ્ટોલ કર્યા છે, જે સમગ્ર વિસ્તારનું તમામ એંગલથી રેકોર્ડિંગ કરી કઈ ફેક્ટરી ઝેરી ધુમાડો છોડી રહી છે. ત્યારબાદ અધિકારીઓ જે તે ફેક્ટરી માલિકને કોલ કરી કાર્યવાહી કરશે. અધિકારીઓએ કહ્યું કે, 20 મિનિટથી વધુ સમય વોટ્સએપમાં વીડિયો શેર કરાશે PTZ કેમેરા 24x7 નિરીક્ષણ કરશે. જે ચીમની 20 મિનિટથી વધુ કાળો ધુમાડો છોડશે તેના માલિકને આઈડેન્ટિફાઈ કરીને પ્રદૂષણનું રેકોર્ડિંગ વોટ્સએપ ગ્રુપમાં શેર કરી તાત્કાલિક કાર્યવાહી કરાશે. PTZ 360 કેમેરા શું છે? આ કેમેરા ગોળાકાર રેકોર્ડિંગ કરશે. વાઇડ-એંગલ લેન્સ વિવિધ ખૂણેથી રેકોર્ડિંગ કરીને ઇમર્સિવ ઈમેજ આપે છે. પછી ઉપર, નીચે, પાછળ પેન કરી શકાય છે.
વાતાવરણ:રાત્રિનું તાપમાન અઢી ડિગ્રી વધીને 19 થતાં ઠંડીમાં રાહત
શહેરમાં સતત બે દિવસથી રાત્રિના તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો થછે. મંગળવારે લઘુતમ તાપમાનમાં અઢી ડિગ્રીનો નોંધપાત્ર વધારો થતાં ઠંડીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. રાત્રિનો પારો 19 ડિગ્રી નજીક પહોંચી ગયો હતો. આગાહી મુજબ આગામી બે દિવસ તાપમાનમાં આ જ રીતે ઉતાર-ચઢાવ જોવા મળશે, જેમાં લઘુતમ તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવારે શહેરનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુતમ તાપમાન 18.9 ડિગ્રી નોંધાયું હતું. જો કે, ગઇકાલની સરખામણીમાં શહેરના મહત્તમ તાપમાનમાં 0.7 ડિગ્રીનો ઘટાડો અને લઘુતમ તાપમાનમાં 2.6 ડિગ્રીનો વધારો થયો હતો, જેથી મોડી રાત્રે પણ કડકડતી ઠંડીમાં થોડી રાહત અનુભવાઈ હતી. આ સાથે જ વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 56 ટકા અને સાંજે 41 ટકા નોંધાયું હતું. ઉપરાંત ઉત્તર-પૂર્વ દિશા તરફથી 4 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાયા હતા, જેથી ઠંડીમાં થોડી રાહત મળી હતી.
એરપોર્ટ પર એન્ટિ-ડ્રોન સિસ્ટમ લગાડાશે, જે 24x7 વોચ રાખીને સમગ્ર શહેરને ડ્રોનપ્રૂફ બનાવશે. ગૃહ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયના આદેશ બાદ AAIએ તમામ એરપોર્ટ પર આ ટેકનોલોજી લાગુ કરવા કવાયત શરૂ કરી છે. પહેલાં દિલ્હી, બેંગલુરુ અને હૈદરાબાદ એરપોર્ટ પર સિસ્ટમ લાગશે. બીજા તબક્કામાં અમદાવાદ, ગુવાહાટી, લખનઉ અને જયપુર ત્યારબાદ સુરત, રાજકોટમાં અમલ કરાશે. ડ્રોન હુમલાઓને ધ્યાનમાં લઈ આ યોજના અમલમાં મૂકાશે. ખાસ કરીને મેમાં ‘ઓપરેશન સિંદૂર’માં ડ્રોન ટેકનોલોજીના સફળ પ્રયોગ બાદ સિવિલ એવિએશનમાં સુરક્ષા વધારવા પ્રેરણા મળી હતી. સિસ્ટમની ખાસિયતો... પક્ષી કે અન્ય વસ્તુને પણ ઓળખી શકે છે કાકરાપાર અણુ મથક, હજીરાની ડિફેન્સ કંપની, પોર્ટને કારણે સુરત એરપોર્ટની પસંદગીસુરત નજીક કાકરાપાર અણુપ્લાન્ટ, હજીરાની ક્રિભકોમાં હેવી વોટર પ્લાન્ટ તથા એક કંપનીમાં ડિફેન્સના સાધનો પણ બને છે. પોર્ટ પણ ખૂબ મોટો છે, જે નેવીની મૂવમેન્ટ માટે મહત્વનો છે. એર કનેક્ટિવિટી પણ સરળતાથી થઈ શકે છે, જેથી તેની સુરક્ષા માટે આ સિસ્ટમ મુકવા સુરતની પસંદગી થઈ છે. આ સિસ્ટમ માટે BHEL, ઇઝરાયેલી અને યુરોપિયન કંપનીઓનો સહયોગ મળશે.
ચૂંટણી ઇફેક્ટ:ઇમ્પેક્ટ ફી યોજના હેઠળ અરજી કરવાની મુદતમાં છ માસનો વધારો
રાજ્યમાં મહાનગરો અને નગરોમાં ગેરકાયદે બંધાયેલા બાંધકામો ઇમ્પેક્ટ ફી ભરી નિયમબદ્ધ કરી આપવાના કાયદાની મુદત રાજ્ય સરકારે પાંચમી વખત લંબાવી છે. આથી હવે આજથી રાજકોટ શહેરમાં વધુ છ મહિના સુધી આવા બાંધકામો રેગ્યુલરાઇઝ કરવાની મહાનગરપાલિકામાં જે તે મિલકતધારક અરજી કરી શકશે. પાલિકા અને પંચાયતોની ચૂંટણી આવી રહી હોવાથી આ મુદતમાં વધારો કરાયાનું મનાઇ રહ્યું છે. મહાપાલિકાના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર રાજકોટ મનપામાં ઇમ્પેક્ટ ફી યોજના અંતર્ગત ગેરકાયદે બાંધકામે રેગ્યુલરાઇઝ કરાવવા માટે કુલ 14810 અરજી ઇન્વર્ડ થઇ છે. જેમાંથી 4927 અરજી મંજૂર કરાઇ છે. જ્યારે બાકીની અરજીઓ પેન્ડિંગ છે અને તેની તપાસ બાદ રેગ્યુલરાઇઝ કરી દેવાશે તેમ કહેવાય છે, પરંતુ રાજકોટ શહેરના અનેક બાંધકામો એવા વિસ્તારમાં છે કે જ્યાં હવે ફાયર સેફ્ટીના સાધનો ઇન્સ્ટોલ કરવા ઉપરાંત ત્યાં ફાયર બ્રિગેડના એનઓસી મળી શકે તેમ નથી અને તેના પરિણામે ઇમ્પેક્ટ ફી યોજના હેઠળ કરેલી અરજીઓ નામંજૂર કરવી પડે તેવી સ્થિતિ પણ પ્રવર્તી રહ્યાનું કહેવાય છે. ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે સોમવારે નોટિફિકેશન જાહેર કરી 17મી ડિસેમ્બરથી 6 માસ માટે ઇમ્પેક્ટ ફી યોજના હેઠળ અરજી કરવાની મુદત લંબાવવામાં આવી છે.
આત્મહત્યા:પુષ્કરધામ રોડ ક્રિષ્ના પાર્કમાં ઝેર પી 19 વર્ષના કોલેજિયન યુવકનો ફાંસો ખાઇ આપઘાત
આત્મહત્યાના વધુ બે બનાવ બન્યા છે. જેમાં કાલાવડ રોડ ક્રિષ્ના પાર્કમાં રહેતા 19 વર્ષીય યુવાને એસિડ પી લેતાં તેનું મોત થયું હતું. જ્યારે બીજા બનાવમાં જામનગર રોડ સૂર્યકાંત હોટેલ જલારામ મંદિર પાસે રહેતા 27 વર્ષના મહિલાએ ઘરે ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી. બનાવની પ્રાપ્ત વિગત મુજબ, કાલાવડ રોડ ક્રિષ્ના પાર્ક પુષ્કરધામ મેઇન રોડ પર રહેતા સુનિલ કરણરાય ચાવડા(ઉ.વ.19) નામના યુવાને સોમવારે રાતે પોણા બે વાગ્યા આસપાસ ઘરે હતો ત્યારે કોઇ કારણોસર દવા પી લેતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થતાં પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ દ્વારા આ અંગેની જાણ કરવામાં આવતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના એએસઆઇ જીતુભાઇ બાળાએ જરૂરી કાર્યવાહી કરી હતી. યુવક અહીં પીજીમાં રહી કોલેજમાં અભ્યાસ કરતો હતો. કારણ જાણવા પોલીસે તપાસ યથાવત્ રાખી છે. બીજા બનાવમાં જામનગર રોડ, સૂર્યકાંત હોટેલ જલારામ મંદિર પાસે રહેતા ગીતાબેન ભીમાભાઈ ભાટી(ઉં.વ.27) નામની મહિલાએ ઘરે પતરાની લોખંડની આડમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા 108 ઇએમટીની ટીમ દ્વારા મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ્ટે. ગિરીરાજસિંહ ઝાલાએ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. આપઘાત કરનાર ગીતાબેનને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે. તેણીએ ક્યાં કારણસર પગલું ભર્યું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
વાર્તાનો મહાકુંભ:GCERT આયોજિત ‘નિપુણ ભારત બાળવાર્તા ઉત્સવ’ શરૂ, બાળકો માટે ડિજિટલ સ્પર્ધા થશે
GCERT દ્વારા વર્ષ 2025-26 માટે રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ‘નિપુણ ભારત અંતર્ગત બાળવાર્તા કાર્યક્રમ’ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓમાં મૌખિક અને સર્જનાત્મક કૌશલ્યો વિકસાવવા માટે બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ માટે આ વિશેષ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ સંસ્થા દ્વારા તમમાં પ્રાચાર્યોને કરેલા પરિપત્રોમાં જણાવાયું છે કે, નાના બાળકો માટેની ‘ડિજિટલ’ સ્પર્ધામાં એક મહત્ત્વપૂર્ણ ફેરફાર છે જેમાં વિભાગ-1 (બાલવાટિકાથી ધોરણ 2)ના બાળકોએ ઝોન કે રાજ્યકક્ષાએ રૂબરૂ જવાનું રહેશે નહીં. તેના બદલે તેમના વાર્તાકથનનો 5 મિનિટનો વીડિયો રેકોર્ડ કરી મોકલવાનો રહેશે. વીડિયો માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે, જેમ કે વીડિયો મોબાઈલ આડો રાખીને ઉતારવો અને તેમાં કોઈ પણ પ્રકારનું એડિટિંગ કરવું નહીં વગેરે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે રોકડ પુરસ્કારો પણ જાહેર કરાયા છે. તાલુકા કક્ષાએ પ્રથમ વિજેતાને રૂ.500, જ્યારે જિલ્લા, ઝોન અને રાજ્યકક્ષાએ પ્રથમ વિજેતાને રૂ.1000નું ઇનામ આપવામાં આવશે. ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે વાર્તા લેખનમાં 20 મિનિટનો સમય અને 50 ગુણનું મૂલ્યાંકન રહેશે, જેમાં મૌલિકતા અને લેખનશૈલી પર ભાર મૂકવામાં આવશે. ત્રણ વિભાગમાં યોજાશે સ્પર્ધા : વયજૂથ પ્રમાણે ત્રણ અલગ અલગ વિભાગમાં સ્પર્ધા વહેંચાઈ છે વિભાગ-1 (બાલવાટિકાથી ધોરણ 2) | આ વિદ્યાર્થીઓ માટે ‘વાર્તાકથન સ્પર્ધા’ યોજાશે, જેમાં બાળકે પોતાની મનપસંદ વાર્તા રજૂ કરવાની રહેશે. વિભાગ-2 (ધોરણ 3થી 5) | આ જૂથ માટે પણ ‘વાર્તાકથન સ્પર્ધા’ રહેશે, પરંતુ તેમણે નિપુણ ભારત વાર્તાસંગ્રહ, પુસ્તકાલય કે વર્તમાનપત્રમાંથી વાર્તા પસંદ કરવાની રહેશે. વિભાગ-3 (ધોરણ 6થી 8) | આ વિદ્યાર્થીઓ માટે ‘વાર્તા લેખન/નિર્માણ સ્પર્ધા’ યોજાશે. જેમાં તેમને અલગ-અલગ વિષય આધારિત ચિત્રો બતાવાશે અને તે પરથી મૌલિક વાર્તા બનાવવાની રહેશે. સ્પર્ધાનું માળખું અને સમયપત્રક: સ્પર્ધા શાળા કક્ષાએથી શરૂ થઈને રાજ્યકક્ષા સુધી જશે સીઆરસી કક્ષા | 15 ડિસેમ્બર 2025થી 15 જાન્યુઆરી 2026 સુધી. તાલુકા/જિલ્લા/ઝોન | 15 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી 2026. રાજ્યકક્ષા | ફેબ્રુઆરી 2026ના પ્રથમ સપ્તાહમાં.
રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષે સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલનું રિપેરિંગ કરવાની જાહેરાત કરાયા બાદ ટેન્ડર પ્રસિદ્ધ કરી દેવાયા હતા અને બાદમાં છેલ્લી ઘડીએ આ નિર્ણય મુલતવી રખાયો હતો અને હવે સંભવત: આ વર્ષે સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલનું રિપેરિંગનું કામ શરૂ કરાય તો રાજકોટ શહેરને પાણીની કટોકટી ન ભોગવવી પડે તે માટે મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના સિંચાઇ વિભાગ પાસે સૌની યોજનાથી રાજકોટના જીવાદોરી સમાન આજી-1 અને ન્યારી-1 ડેમ ભરી દેવા 3150 એમસીએફટી નર્મદાનાં નીરની 1લી જાન્યુઆરીથી આપવા માગણી કરાઇ છે. જોકે સિંચાઇ વિભાગ આ નર્મદાના નીર 15મી જાન્યુઆરીથી આપે તો પણ રાજકોટ શહેરને પાણી વિતરણમાં કોઇ મુશ્કેલી પડે તેમ ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. રાજકોટમાં શિયાળાની ઋતુ ધીમેધીમે જમાવટ લઇ રહી છે અને હવે આગામી ચોમાસા સુધી શહેરના દરેક વિસ્તારોમાં દૈનિક 20 મિનિટ પાણી આપી શકાય તેમાં કોઇ વિક્ષેપ ન પડે તે માટે મહાનગરપાલિકાએ કવાયત આદરી છે અને તેના ભાગરૂપે સૌની યોજનાના નીરની રાબેતા મુજબ નવેમ્બર માસમાં પત્ર લખી સરકાર પાસે માગણી કરી છે. મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના સૂત્રોએ જણાવ્યા અનુસાર શહેરને હાલ દૈનિક 450 એમએલડી પાણીની જરૂરિયાત રહે છે. જેમાં 135 એમએલડી પાણી જીડબલ્યુઆઇએલ મારફત નર્મદા પાઇપલાઇન યોજના મારફત મેળવવામાં આવે છે અને બાકીનું 315 એમએલડી પાણી આજી અને ન્યારી ડેમમાંથી મેળવવામાં આવે છે. આ વર્ષે ચોમાસામાં આજી અને ન્યારી બન્ને ડેમ ભરાઇ જતા હાલમાં પાણીની કોઇ સમસ્યા નથી, પરંતુ જો સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલનું કામ શરૂ થાય તો પાઇપલાઇનથી મળતા નર્મદાના નીર મળવાના બંધ થઇ જાય અને તેમાં જો ચોમાસું ખેંચાઇ તો રાજકોટ માટે કટોકટી સર્જાય તેવી ભીતિને ધ્યાનમાં લઇ વોટર વર્કસ વિભાગે આગોતરું આયોજન કર્યું છે. વોટર વર્કસ વિભાગે સિંચાઇ વિભાગને 1લી જાન્યુઆરીથી સૌની યોજના મારફત નર્મદાના 3150 એમસીએફટી નીર આપવા માગણી કરી છે, પરંતુ જો સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલનું કામ શરૂ કરવામાં નહીં આવે તો 2400 એમસીએફટી પાણી જ આજી-1 અને ન્યારી-1 ડેમ માટે લેવામાં આવશે, પરંતુ જો સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલના રિપેરિંગની કામગીરી સરકાર શરૂ કરશે તો 3150 એમસીએફટી પાણીની જરૂરિયાત પડશે. આથી ભવિષ્યની અણધારી સ્થિતિને કારણે પાણીની કટોકટી ન સર્જાય તે માટે વોટર વર્કસ વિભાગે વધુ પાણીની ડિમાન્ડ અત્યારથી કરી દીધી છે. કેનાલ રિપેરિંગ શરૂ નહીં કરાય તો માત્ર 2100થી 2400 MCFT પાણી ઉપાડાશેજો સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલનું કામ શરૂ નહીં કરાય તો સૌની યોજના મારફત આજી-1માં 1300થી 1400 એમસીએફટી અને ન્યારી-1 ડેમમાં 600થી 700 એમસીએફટી પાણી મળી કુલ 2100 એમસીએફટી પાણી જ ઉપાડવામાં આવશે અને જો કદાચ ચોમાસું ખેંચાય તો પણ વધુમાં વધુ 2400 એમસીએફટી પાણી ઉપાડવામાં આવશે. રાજકોટને પીવાનું પાણી પૂરું પાડે તે માટે નવો ડેમ બનાવવાની માત્ર વાતોરાજકોટને પીવાનું પાણી પૂરુ પાડતા ડેમ આજી, ન્યારી અને બે તળાવ ઉપરાંત ભાદર ડેમમાંથી પણ ઉપાડ કરવો પડે છે. આમ છતાં બે છેડા ભેગા થતા નથી આથી છેલ્લા 20 વર્ષથી નવો ડેમ બનાવવા માટેની અનેક વખત વાતો કરવામાં આવી છે ત્યારે આ વાતોનો જો અમલ કરવામાં આવે તો રાજકોટ સૌની યોજના પર આધારિત ન રહે.
રાજકોટ અને અમદાવાદ વચ્ચેનો રેલવે પ્રવાસ હવે ટૂંક સમયમાં જ વધુ ઝડપી અને સુવિધાજનક બનવાનો છે. રાજકોટ-અમદાવાદ ડબલ ટ્રેકનું કામ પૂર્ણ થયા બાદ હવે રેલવે તંત્ર દ્વારા ટ્રેક અપગ્રેડેશનની મહત્ત્વની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી પૂર્ણ થતાની સાથે જ આ રૂટ પર ટ્રેનની ગતિ હાલની 90 કિલોમીટર પ્રતિ કલાકથી વધીને 130 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી જશે. પરિણામે, રાજકોટથી અમદાવાદ પહોંચવાનો સમય હાલ જે 4 કલાકથી વધુ થાય છે તે ઘટીને માત્ર અઢી કલાક જેટલો થવાની સંભાવના છે. સંભવત: આગામી 6 મહિનામાં આ કામગીરી પૂર્ણ થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ટ્રેક અપગ્રેડેશન અંતર્ગત અમદાવાદ-મુંબઈ વચ્ચે જે પ્રકારના મોટા અને પહોળી સાઇઝના પાટા (ટ્રેક)નો ઉપયોગ થાય છે, તે જ પ્રકારનો આધુનિક ટ્રેક રાજકોટ-અમદાવાદ વચ્ચે બનાવવામાં આવી રહ્યો છે. આ આધુનિક બ્રોડગેજ લાઇન ટ્રેનની ગતિને વધુ ગતિશીલ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવ દ્વારા અગાઉ અમદાવાદથી રાજકોટ સુધી 6 ટ્રેન લંબાવવાની જાહેરાત કરવામાં આવી હતી. ડબલ ટ્રેક અને ટ્રેક અપગ્રેડેશનની કામગીરીના કારણે અત્યાર સુધી આ નિર્ણય અમલી બન્યો નહોતો. જોકે, કામ પૂર્ણ થતાં જ આ ટ્રેન રાજકોટ સુધી લંબાવવામાં આવે તેવી શક્યતા છે. આ આધુનિક સુવિધાના કારણે રાજકોટને નવી પ્રીમિયમ ટ્રેન પણ મળે તેવી સંભાવના નકારી શકાય નહીં હવે હેવી એન્જિન બનવા લાગ્યા, સ્પીડ વધી એટલે ટ્રેક બદલાવાય છેરેલવે સામાન્ય રીતે આગામી 40થી 50 વર્ષના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેની યોજના અને પ્રોજેક્ટ બનાવતા હોય છે. મળતી માહિતી અનુસાર રેલવે પણ સમયની સાથે અપગ્રેડ થઇ રહ્યું છે. રેલવેના નવા એન્જિન હવે વધુ હેવી એટલે કે વજનવાળા અને ઝડપથી દોડાવી શકાય તેવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે ત્યારે આવા હેવી એન્જિનને ખમી શકે અને સ્પીડમાં દોડાવી શકાય તેના માટે રેલવે નેટવર્કમાં મોટાપાયે બદલાવ કરવામાં આવી રહ્યા છે. અપગ્રેડ ટ્રેક સાથે ઓટોમેટિક સિગ્નલ વ્યવસ્થા મુકાશેટ્રેક અપગ્રેડેશનથી માત્ર ટ્રેનની સ્પીડ જ નહીં, પરંતુ રેલવેની સુરક્ષા અને કાર્યક્ષમતામાં પણ વધારો થશે. નવા ટ્રેક અપગ્રેડેશનના ભાગરૂપે સિગ્નલ વ્યવસ્થા પણ સંપૂર્ણપણે ઓટોમેટિક બની જશે. આનાથી ટ્રેનને અવરોધ ઓછો નડશે અને ગતિ જાળવી રાખવામાં મદદ મળશે. ટ્રેકના અપગ્રેડેશન પછી ટ્રેન ઝડપથી દોડશેડબલ ટ્રેક અપગ્રેડેશનની કામગીરી હાલ તબક્કાવાર ચાલી રહી છે. સુરેન્દ્રનગર-વિરમગામ આ બે સ્ટેશન વચ્ચે ટ્રેક અપગ્રેડેશનનું કામ છેલ્લા બે મહિનાથી ચાલી રહ્યું છે અને તેને પૂર્ણ થતાં લગભગ છ મહિનાનો અંદાજ છે. > હરિકૃષ્ણ જોશી, રેલવે સલાહકાર સમિતિના પૂર્વ સભ્ય ભાસ્કર નોલેજ : રૂટ ઉપર આવો ટ્રેક બિછાવાય છે સાઈઝમાં જાડા અને વજનદાર પાટા સામાન્ય રીતે હાઇ-ડેન્સિટી રૂટ ઉપર બિછાવાય છે. આ પાટાનું વજન આશરે 60 કિલોગ્રામ પ્રતિ 1 મીટરનું હોય છે. આ ટ્રેકમાં ઉચ્ચ તાકાત અને ટકાઉપણું ધરાવતું પેર્લાઇટિક સ્ટીલ વપરાતું હોવાનું જાણવા મળ્યું છે. અપગ્રેડેશન પછી આ ટ્રેક 25 ટન સુધીનું એક્સલ લોડ ધરાવતા વધુ શક્તિશાળી એન્જિનોનો ભાર પણ ખમી શકે છે. આ ટ્રેક 130 કિમી/કલાકની ગતિ માટે બનાવવામાં આવ્યો છે.
રાજકોટ સહિત રાજ્યભરમાં SIR એટલે કે, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અંતર્ગત એક મહિનો અને 12 દિવસ સુધી એન્યુમરેશન ફોર્મ આધારે મેપિંગ અને ડિજિટાઇઝેશન બાદ મંગળવારે જિલ્લાના રોલ ઓબ્ઝર્વર રાહુલ ગુપ્તાની વર્ચ્યુલ હાજરીમાં તમામ માન્ય રાજકીયપક્ષો સાથે બેઠક યોજી રાજકોટ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા SIR બાદ તૈયાર કરવામાં આવેલ મતદારયાદી લોક કરી દેવામાં આવી છે. SIR પ્રક્રિયા દરમિયાન 3,35,670 મતદાર મૃત, સ્થળાંતરિત અને ગેરહાજર કેટેગરી ઉપરાંત બેવડી જગ્યાએ નોંધાયેલ હોવાનું સામે આવતા આવા તમામ નામો પર કાતર ફેરવી દઈ આગામી તા.19ના રોજ SIR બાદની નવી મતદારયાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવશે.નોંધનીય છે કે, જિલ્લાના 2,25,329 મતદાર વર્ષ 2002ની તુલનાએ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી શક્યા ન હોવાથી આવા મતદારો લટકતી તલવાર જેવી સ્થિતિમાં છે. જો આવા અનમેપ મતદાર પોતાની ઓળખ પ્રસ્થાપિત નહીં કરે તો તેમના નામ પણ રદ થઇ શકે છે. ચૂંટણી પંચના આદેશ બાદ ગુજરાત સહિત દેશના 12 રાજ્યમાં મતદારયાદીની સઘન સુધારણા માટે SIR અમલી બનાવવામાં આવતા રાજકોટ જિલ્લામાં તા.4 નવેમ્બરથી ચૂંટણી તંત્ર દ્વારા મતદારોનો બીએલઓ મારફતે ડોર ટુ ડોર સંપર્ક કરી એન્યુમરેશન ફોર્મ એટલે કે, ગણતરીપત્રક ભરાવવામાં આવ્યા હતા. SIR દરમિયાન સતત 42 દિવસની કાર્યવાહીના અંતે મંગળવારે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી ડો.ઓમ પ્રકાશે જિલ્લાના રોલ ઓબ્ઝર્વર રાહુલ ગુપ્તાની હાજરીમાં તમામ રાજકીયપક્ષના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી SIRની કામગીરીની વિગતો પૂરી પાડી મતદારયાદી લોક કરી હતી. SIR દરમિયાન રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકમાં નોંધાયેલ કુલ 23,91,027 મતદાર પૈકી તમામ મતદારને એન્યુમરેશન ફોર્મ વિતરણ કરાયા બાદ 3,35,670 મતદાર મૃત, સ્થળાંતરિત અને ગેરહાજર તેમજ બેવડાયેલ હોવાનું સામે આવતા આવા મતદારોના નામ SIR બાદ પ્રસિદ્ધ થનાર સૂચિત મતદારયાદીમાંથી દૂર કરવામાં આવશે. નવી SIR બાદની મતદારયાદીમાં 20,55,357 મતદારનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે. સાથે જ 2,25,329 મેપિંગ થયા વગરના મતદારના નામ પણ ઉમેરવામાં આવ્યા છે. જો આવા અનમેપ મતદાર પોતાની ઓળખ પ્રસ્થાપિત કરતા પુરાવા રજૂ નહીં કરે તો મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ સમયે આવા મતદારના નામ પણ રદ થશે.એકંદરે SIR બાદ જાહેર થઈ રહેલી સૂચિત મતદારયાદીમાંથી એક આખી વિધાનસભા જેટલા મતદારોના નામ રદ થયા હોવાનું સામે આવ્યું છે. SIRમાં મૃત મતદારોનો આંકડો ખોટો: કોંગ્રેસરાજકોટ જિલ્લામાં રોલ ઓબ્ઝર્વરની વર્ચ્યુલ હાજરી વચ્ચે માન્ય રાજકીય પક્ષના પ્રતિનિધિઓ સાથે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા SIR કામગીરી અંગેની વિગતો જાહેર કરવામાં આવતા કોંગ્રેસના પ્રતિનિધિ કૃષ્ણદત રાવલ અને સંજય લાખાણીએ આધાર પુરાવા સાથે રજૂઆત કરી SIRની કાર્યવાહી શંકાસ્પદ હોવાનું જણાવ્યું હતું. કોંગ્રેસે લેખિત રજૂઆત કરતા જણાવ્યું હતું કે, જિલ્લામાં દર વર્ષે 22,000 જન્મ અને 15 હજાર મૃત્યુ થઇ રહ્યા છે ત્યારે વર્ષ 2002થી વર્ષ 2020 સુધીના સમયમાં રાજકોટ મહાનગરપાલિકાના આંકડા મુજબ શહેરમાં 2,29,062 લોકોના મૃત્યુ થયા હતા સાથે જ જિલ્લા પંચાયતના આંકડા અલગ છે કુલ મળી જિલ્લામાં 3.25 લાખથી વધુ લોકોના મૃત્યુ સામે SIR કાર્યવાહીમાં ચૂંટણી તંત્રએ આખા જિલ્લામાં 89,553 મૃત્યુ દર્શાવ્યા છે. જે સત્યથી જોજનો દૂર હોવાનું જણાવી આવા મૃત મતદારના નામે જ વોટ ચોરીની આશંકા દર્શાવી મૃત મતદારના સાચા આંકડા SIRમાં સામેલ કરવા રોલ ઓબ્ઝર્વર સમક્ષ રજૂઆત કરી હતી. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે, SIR દરમિયાન શહેરની અનેક આખે આખી સોસાયટી અને મધ્યમવર્ગીય વિસ્તાર કે જે કોંગ્રેસ કમિટેડ વોટર છે તેમને હટાવી દેવામાં આવ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. 10 લાખથી વધુ મતદારનું માતા-પિતાના આધારે મેપિંગરાજકોટ જિલ્લામાં સતત 42 દિવસની SIRની કામગીરીમાં 2256 બૂથ લેવલ ઓફિસર અને 4512 બીએલઓ સહાયક દ્વારા 23.91 લાખ મતદારને ગણતરી ફોર્મ આપી આવા ગણતરી ફોર્મ પરત મેળવી મેપિંગ બાદ ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે. જિલ્લામાં 8,23,653 મતદારનું સેલ્ફ મેપિંગ થયું છે જ્યારે 10,06,148 મતદારનું તેમના માતા-પિતાની ઓળખના આધારે મેપિંગ કરવામાં આવ્યું હોવાનું ચૂંટણીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લાના 2,25,329 મતદારને મળશે નોટિસ : રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકમાં કુલ 2,25,329 મતદાર પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી શક્યા ન હોવાથી હાલમાં આવા મતદારને અનમેપ કેટેગરીમાં સમાવી સૂચિત મતદારયાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ તમામ 2,25,329 મતદારને બીએલઓ હવે ઘેર ઘેર નોટિસ પાઠવી ઓળખના પુરાવા સાથે સંબંધિત મતદાર નોંધણી અધિકારી સમક્ષ સુનાવણીમાં હાજર રહી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવા તક આપશે. SIR બાદ રાજકોટ જિલ્લાની આઠ બેઠકની સ્થિતિ વિધાનસભા કુલ મતદાર ડિજિટાઇઝેશન અનમેપ મતદાર મૃત, ગેરહાજર અને સ્થળાંતરિત મતદાર 68- રાજકોટ પૂર્વ 308791 245209 40270 63582 69-રાજકોટ પશ્ચિમ 365651 291870 56669 73781 70-રાજકોટ દક્ષિણ 259854 205895 32720 53959 71-રાજકોટ ગ્રામ્ય 399850 349479 27993 50371 72-જસદણ 268531 255124 2321 13407 73-ગોંડલ 235846 211466 14100 24380 74-જેતપુર 281534 251933 39244 29601 75-ધોરાજી 270970 244381 12012 26589 કુલ 2391027 2055357 225329 335670
શહેરના રેસકોર્સ મેદાન ખાતે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ આયોજિત જલકથા : અપને અપને શ્યામ કીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સી.આર.પાટીલ ઉપસ્થિત રહી સંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે, આવી ઠંડીમાં પણ ડો.કુમાર વિશ્વાસને સાંભળવા બેઠા છો ત્યારે અગાઉની વાત યાદ કરી હતી કે, કુમાર વિશ્વાસને કહ્યું હતું કે, આ સૌરાષ્ટ્રની ધરતી છે, “અપને અપને રામ, અપને અપને શ્યામ’ની ધરતી છે. દિલીપભાઇની વાત કરતા કહ્યું હતું કે, વધુમાં કહ્યું હતું કે, જેટલું પાણી વાપરો છો એનાથી વધારે પાણી જમીનમાં ઉતારવાનો સંકલ્પ કરો તથા આટલા વર્ષ પાણી વાપર્યું એ એક ઋણ અને દેવું છે તે પૂર્ણ કરો. બીજા દિવસે કુમાર વિશ્વાસે કૃષ્ણની વાત કરી કાળા અને ગોરા રંગના ભેદભાવ વિશે જણાવતા કહ્યું હતું કે, દુર્ભાગ્યથી લોકો ગોરા રંગને સૌંદર્યનું પ્રતીક માનવા લાગ્યા છે. પરંતુ અંદરથી પ્રેમ, કરુણા હોય અને ગમે તે વરણના હોય અને ગમે તેટલા કાળા હોય તો પણ લોકો તમને કનૈયા અને ભગવાન સ્વરૂપ માનશે. જળસંચયના કાર્યો હાથ ધરી પ્રથમ જલકથા માટે વર્લ્ડ રેકોર્ડઆ તકે ગીરગંગા પરિવાર ટ્રસ્ટને વિશ્વની સૌ પ્રથમ જલકથા માટે 5 વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત થયા હતા. જેમાં ઓ.એમ.જી. બુક ઓફ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, એશિયા સ્પેસિફિક બુક ઓફ રેકોર્ડ, ઇન્ટરનેશનલ ટેલેન્ટ બુક ઓફ રેકોર્ડ તથા આઇ.ઇ.એ. વર્લ્ડ રેકોર્ડ. પાણી બચાવવાના 20,000થી વધુ લોકોએ સામૂહિક શપથ લીધાઆ કથામાં સી.આર.પાટીલએ જળ બચાવવાના શપથ લેવડાવ્યા ત્યારે ઉપસ્થિત 20,000થી વધુ લોકોએ શપથ લીધા હતા કે, “જળ વગર જીવન શક્ય નથી, દરેક ટીપામાં જીવન વસે છે એ હું સમજું છું. હું પાણીનું એક-એક ટીપું અમૂલ્ય સમજી વપરાશ કરીશ, બગાડ કરીશ નહીં. આ ધરતીને તરસી રહેવા દહીશ નહીં. મારા બાળકોને પાણી માટે રડવું ન પડે તે માટે આજથી જાગૃત રહીશ. હું પોતે જળ બચાવી અન્યને પણ પ્રેરિત કરીશ કારણ કે, પાણી બચાવવું એટલે જીવન બચાવવું.’
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 26મી ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ માટેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આ વર્ષે બોર્ડની પરીક્ષાના આંકડાકીય વિગતોમાં એક સકારાત્મક વલણ જોવા મળ્યું છે. ગત વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં થયેલા ઘટાડા બાદ, ચાલુ વર્ષે વિદ્યાર્થીઓની નોંધણીમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. રેગ્યુલર ફી સાથે ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ ચૂકી છે, અને અત્યાર સુધીમાં કુલ 15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે ઉમેદવારી નોંધાવી છે. જેમાં ગયા વર્ષ કરતાં 86 હજાર વિદ્યાર્થી વધુ નોંધાયા છે તેમાંથી કોમર્સ લેનારા વિદ્યાર્થી 17% વધ્યા હોવાનું જાણવા મળ્યું છે. ગત વર્ષ 2024ના બોર્ડના આંકડાઓ પર નજર કરીએ તો, વર્ષ 2023ની સરખામણીમાં 1.10 લાખ જેટલા વિદ્યાર્થીઓ ઘટ્યા હતા. જોકે, ચાલુ વર્ષે આ ચિત્ર બદલાયું છે. હાલની સ્થિતિએ ગત વર્ષની સરખામણીમાં લગભગ આશરે 86 હજાર જેટલા વિદ્યાર્થીઓ વધારે નોંધાયા છે. શિક્ષણ નિષ્ણાતો અને શિક્ષણક્ષેત્રના અધિકારીઓના મતે, લેટ ફી સાથેની પ્રક્રિયા પૂર્ણ થતાં સુધીમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યામાં 90,000 જેટલો વધારો થવાની પ્રબળ શક્યતા છે. બોર્ડની પરીક્ષા આપવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે શરૂઆતમાં 6 ડિસેમ્બર સુધીની મુદત આપવામાં આવી હતી, પરંતુ વાલીઓ અને વિદ્યાર્થીઓની માગણીને ધ્યાનમાં રાખીને બોર્ડ દ્વારા રેગ્યુલર ફી સાથે ફોર્મ ભરવાની મુદત 10 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. હાલમાં રેગ્યુલર ફીની મુદત પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરવાના રહી ગયા છે, તેઓ માટે 19મી ડિસેમ્બર સુધી લેટ ફી સાથે ફોર્મ ભરવાની સુવિધા ચાલુ રાખવામાં આવી છે. આ દિવસો દરમિયાન બાકી રહેલા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવશે, જેથી કુલ આંકડો હજુ વધશે. ધો.10 પછી વિદ્યાર્થીઓનો કોમર્સ તરફ ઝુકાવ વધ્યો, સાયન્સમાં આંશિક વધારો વર્ષ 2024 2025 ધોરણ-10 8,92,882 8,99,400 (આશરે) ધો.12 સાયન્સ 1,11,384 1,18,700 (આશરે) ધો.12 સા. પ્રવાહ 4,23,909 4,96,000 (આશરે) હવે માર્ચને બદલે ફેબ્રુઆરીમાં પરીક્ષાનો ટ્રેન્ડઉલ્લેખનીય છે કે, શિક્ષણ બોર્ડ દ્વારા હવે માર્ચને બદલે ફેબ્રુઆરીમાં પરીક્ષાઓ યોજવાનો ટ્રેન્ડ શરૂ કરવામાં આવ્યો છે. ગત વર્ષે 27મી ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થઈ હતી, જ્યારે આ વખતે 26મી ફેબ્રુઆરીથી પરીક્ષાનો પ્રારંભ થશે. વધતી જતી વિદ્યાર્થીઓની સંખ્યાને પહોંચી વળવા અને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે બોર્ડ દ્વારા અત્યારથી જ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ વ્યવસ્થા ખરેખર ઉચ્ચ શિક્ષણમાં એટલે કે કોલેજમાં સમયસર એડમિશન કરવા માટે લાગુ કરી છે, પરંતુ હકીકતમાં તે અમલી થઇ શકતું નથી.
અંબાજી નજીક પાડલીયા ગામે વૃક્ષારોપણની કામગીરીની તૈયારી દરમિયાન 13 ડિસેમ્બરે પોલીસ અને વનકર્મીઓ પર હુમલાની ઘટના અને પોલીસ ફરિયાદ પછી આ ઘટનાએ રાજકીય રંગ પકડી લીધો છે. મંગળવારે દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ પાડલીયામાં આદિવાસી સમાજ સાથે બેઠક કરી સરકારને ચેતવણીની ભાષામાં કહ્યું છે કે, કોના કહેવાથી આદિવાસીઓ પર અત્યાર કરાયો છે. આદિવાસીઓ 100 વર્ષ સુધી ભૂલશે નહીં એનો બદલો આપે છુટકો છે. બીજી તરફ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અને ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષારભાઈ ચૌધરીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી ઘટનાની નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કાર્યવાહીની માગ કરી છે. ભાજપના નેતા લાઘુભાઈ પારગીએ પણ કહ્યું છે કે, તંત્રે કાચુ કાપ્યું છે. સરકારમાં રજૂઆત કરીશ. ઘટનાના ચાર દિવસ પછી પણ પોલીસે આ મામલે કોઈ ધરપકડ નથી કરી. પોલીસે નોંધેલી ફરિયાદને પણ સેન્સેટિવમાં મૂકી દીધી છે. રેન્જ આઇજી ચિરાગ કોરડિયા પણ અંબાજી દોડી આવ્યા હતા અને એસપીથી સમગ્ર ઘટના બાબતે રિપોર્ટ લીધો હતો. પોલીસે આદિવાસી આગેવાનો સાથે બેઠક કરવાનો પ્રયાસ પણ કર્યો હતો પણ સફળતા મળી ન હતી. આમ આદમી પાર્ટીના નેતા અને દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પણ બુધવારે વિસ્તારમાં આવવાના છે. ભાજપના લાઘુ પારગી પણ બોલ્યા તંત્રે કાચુ કાપ્યુંબીજી તરફ પોલીસની મુશ્કેલીઓ વધારવા દાંતા વિધાનસભાનાભાજપના તત્કાલીન ઉમેદવાર અને સ્થાનિક ભાજપના અગ્રણીલાધુભાઈ પારગીએ પણ વિરોધના સૂર વ્યક્ત કરીને પોલીસ અને વનવિભાગ દ્વારા કાચું કપાઈ ગયું હોવાનું જણાવી સ્થાનિકઆદિવાસીઓને વિશ્વાસમાં લીધા વિના કાર્યવાહી કરવામાં આવીહોવાનો આક્ષેપ કર્યો હતો અને સરકારમાં રજૂઆત કરીશ તેમ કહ્યુંહતું. માત્ર આદિવાસીઓ સામે જ ફરિયાદ, ઘાયલ આદિવાસીઓની ફરિયાદ ના લેવાઈ : તુષાર ચૌધરીવન વિભાગ, પોલીસ અને વહીવટી તંત્રની કાર્યવાહીથી નારાજ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડો. તુષાર ચૌધરીએ મુખ્યમંત્રીને રજૂઆતમાં જણાવ્યું હતું કે પાડલીયા ગામમાં પણ પેઢીઓથી વસતા આદિવાસી પરિવારોના દાવા હજુ પેન્ડિંગ છે અને તેમના મકાનો તોડવા અગાઉ કાયદેસરની નોટિસ આપવામાં આવી ન હોવાની રજૂઆતો સામે આવી છે. જો અસરગ્રસ્તો સાથે સંવાદ અને કાયદેસર પ્રક્રિયા અપનાવવામાં આવી હોત તો સ્થિતિ તંગ ન બની હોત તેમ તેમણે જણાવ્યું. માત્ર આદિવાસીઓ સામે FIR થઈ, ઘાયલ થયેલા આદિવાસીઓ અંગે જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી કેમ નથી. આદિવાસીઓ 100 વર્ષ સુધી ભૂલશેનહીં : ધારાસભ્ય કાંતિ ખરાડીમંગળવારે ફરી પાડલીયામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ એકઠોથયો હતા. દાંતા ધારાસભ્ય કાંતિ ખરાડી પાડલીયા આસપાસનાગામોના આદિવાસી લોકો સમક્ષ પહોંચ્યા હતા અને સમાજ સાથેબેઠક કરી હતી. બેઠકમાં જતા પૂર્વે તેમણે મીડિયાને જણાવ્યું કે, કોનાકહેવાથી આદિવાસી પર અત્યાચાર કરવામાં આવ્યો છે કર્તાહર્તાઓએ અહીં અધિકારીઓને હાથા બનાવ્યા, હું ચેલેન્જ આપીને કહુંછું તમે આદિવાસીઓને મારો જેટલા મારવા હોય એટલા મારો પણ આએકલું પાડલીયા ગામ નથી, કે એકલો દાંતા, અમીરગઢ, હડાદ તાલુકોનથી જે દિવસે આદિવાસી નામ પડે છે એ અંબાજીથી ઉમરગામ સુધીજેટલા આદિવાસીઓએ સાંભળ્યું છે એ 100 વર્ષ સુધી ભૂલશે નહીંએનો બદલો આપે છૂટકો છે. આજે ચૈતર વસાવા પણ અંબાજી આવશેઆમ આદમી પાર્ટીના નેતા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈવસાવા આજે સવારે 9 વાગે અંબાજી આવશે અને પાડલીયાની ગામેઘટના સ્થળની મુલાકાત લેશે. આમ આદમી પાર્ટીના નેતાઓ એજણાવ્યું કે // ટીમ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચીને ઘટના ના કારણોસુધી પહોંચવાનો પ્રયાસ કરશે, સમગ્ર બાબતની ઉચ્ચ સ્તરે રજૂઆતકરાશે. આઈજીએ સમગ્ર ઘટનાની માહિતી લીધીઘટનાની ગંભીરતાના પગલે ચોથા દિવસે રેન્જ આઇ.જી ચિરાગ કોરડીયા તાત્કાલિક અંબાજી પહોંચ્યા હતા અને એસપી પાસેથી સમગ્ર બાબતનો રિપોર્ટ મેળવ્યો હતો. આજે ચૈતર વસાવા પણ અંબાજી આવશે આમ આદમી પાર્ટીના નેતા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા આજે સવારે 9 વાગે અંબાજી આવશે અને પાડલીયાની ગામે ઘટના સ્થળની મુલાકાત લેશે. આમ આદમી પાર્ટીના નેતાઓ એ જણાવ્યું કે ટીમ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચીને ઘટના ના કારણો સુધી પહોંચવાનો પ્રયાસ કરશે, સમગ્ર બાબતની ઉચ્ચ સ્તરે રજૂઆત કરાશે.
સ્ટોપેજ આપવા માંગ:પાલનપુરથી જલોત્રા માર્ગ ઉપર પસાર થતી અન્ય ડેપોની લોકલ બસોને ગામડાઓનું સ્ટોપેજ આપો
પાલનપુર-અંબાજી હાઇવે ઉપર મેરવાડા પુલ નવો બનાવવાનો હોઇ એસ. ટી. બસો ધનિયાણા ચોકડીથી જલોત્રા માર્ગ ઉપર ડાયવર્ટ કરવામાં આવી છે. જ્યાં માર્ગમાં આવતા ગામોમાં લોકલ બસોને સ્ટોપેજ આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. પાલનપુર - અંબાજી હાઇવે ઉપર મેરવાડા નજીક ઉમરદશીનદી ઉપરનો પુલ જર્જરિત થતાં તોડી પાડી નવો બનાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે. આથી અંબાજીને સાંકળતી એસ.ટી. બસો ધનિયાણા ચોકડીથી વાયા વાસણ, ધાણધા, માણકાના માર્ગે ડાયવર્ટ કરવામાં આવી છેે. આ માર્ગ ઉપર આઠથી વધુ ગામો આવેલા હોઇ જો લોકલ બસોને સ્ટોપેજ આપવામાં આવે તો લોકોને મુસાફરીમાં રાહત થઇ શકે તેમ છે. સામે એસ. ટી. વિભાગને પણ આવક થશે. ધાનેરા- અંબાજી એસટી રૂટ ફરી શરૂ કરોધાનેરાથી અંબાજી જતી વર્ષોથી ચાલતી બસ સેવા છેલ્લા એકાદ વર્ષથી અચાનક બંધ થતા મુસાફરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. સવારે 6:30 વાગ્યે ધાનેરાથી ઉપડી વાયા ડીસા,પાલનપુર થઈ અંબાજી પહોંચતી આ બસ યાત્રાળુઓ, સરકારી કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી હતી. આ બસ હંમેશા મુસાફરોથી ભરેલી રહેતી અને એસટી નિગમને પણ ફાયદો થતો હતો. છતાં કોઈ સ્પષ્ટ કારણ વિના સેવા બંધ કરવામાં આવતા તેને ફરી ચાલુ કરવા માંગ ઉઠી છે.હાલ મુસાફરોને થરાદથી વાયા આબુ રોડ થઈ અંબાજી જવું પડે છે,જેથી આ ધાનેરા-અંબાજી બસ ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
લોકોમાં ફફડાટ:વ્યારા તાલુકાના લોટરવા ગામ પાસે રાત્રે દીપડાની જોડી દેખાતા ખેડૂતોમાં ભય
વ્યારા તાલુકાના લોટરવા ગામે રાત્રિના સમયે દિપડાની હાજરીથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. લોટરવા ગામે રહેતા એક ખેડૂત 14 તારીખે પોતાના અંગત કામ અર્થે વ્યારા ગયા હતા. કામ પૂર્ણ કરીને રાત્રિના સમયે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે લોટરવા ગામ નજીકના માર્ગ પર દીપડાની જોડી લટાર મારતી નજરે પડ્યો હતી. થોડા સમયમાં દીપડા રસ્તા પરથી ઉતરી ખેતર તરફ જવા લાગ્યો હતો. રાત્રે પરત આવી રહેતા એક ખેડૂતએ પોતાની કારની લાઈટ દીપડાની જોડી દેખાઈ હતી. બંને સાથે ચાલતા ચાલતા નજીકના શેરડીના ખેતરમાં પ્રવેશી ગયા હતા. આ ઘટના બાદ ખેડૂત ભાઈએ તરત જ મિત્ર અને ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને જાણ કરી હતી. ઘટનાની જાણ મળતા જ જતીન રાઠોડે સ્થાનિક સ્તરે માહિતી એકત્ર કરી અને દીપડા-દીપડીના વર્તન અંગે મહત્વપૂર્ણ વિગતો આપી હતી. જતીન રાઠોડે જણાવ્યું કે, “દીપડા અને દીપડી વર્ષના કોઈપણ સમયમાં મેટીંગ કરી શકે છે. મેટીંગની પ્રક્રિયા સામાન્ય રીતે એક અઠવાડિયાથી દસ દિવસ સુધી ચાલે છે. ત્યારબાદ દીપડો અને દીપડી અલગ થઈ જાય છે.”તેમણે વધુમાં જણાવ્યું કે, “મેટીંગ પછી દીપડી અનુકૂળ વાતાવરણ અને સુરક્ષિત સ્થળ શોધી લે છે અને અંદાજે 90થી 120 દિવસમાં ત્રણથી ચાર બચ્ચાને જન્મ આપે છે. આ સમયગાળા દરમિયાન દીપડા-દીપડીને પકડવાનો પ્રયાસ કરવો યોગ્ય નથી, કારણ કે તેનાથી વન્યજીવનને નુકસાન પહોંચી શકે છે.”આ ઘટનાને પગલે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ રાત્રિના સમયે સતર્ક રહેવાની જરૂરિયાત હોવાનું જણાવ્યું છે. વનવિભાગ દ્વારા પણ જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.
જળ એ જ જીવન છેના સૂત્રને સાર્થક કરવા અને જળ સંચયની પ્રવૃત્તિને લોક આંદોલન બનાવવાની નેમ સાથે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે દેશના પ્રખ્યાત કવિ ડો. કુમાર વિશ્વાસની પ્રથમ જલકથા અપને અપને શ્યામ કીનું ત્રિ દિવસીય કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથાના બીજા દિવસે મંગળવારે કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલયના મંત્રી સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા જળ સંચય માટે સપથ લોકોને લેવડાવવામાં આવ્યા હતા અને જળ સંચય જનભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત થાય તે માટે વધુને વધુ લોકો આ અભિયાનમાં જોડાઈ તેવું આહવાન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી સી આર પાટીલએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના સંકલ્પને સાકાર કરવા માટે આજ દિવસ સુધીમાં દેશમાં જળ સંચય માટે 35 લાખ સ્ટ્રક્ચર બનાવી દેવામાં આવ્યા છે આગામી એક વર્ષમાં આ ટાર્ગેટ 1 કરોડ સ્ટ્રક્ચર પુરા કરવાનો છે એટલે કે આવતા વર્ષે 65 કરોડ સ્ટ્રક્ચર બનાવવાનો છે. સૌરાષ્ટ્ર આંખમાં પાણીની તકલીફ છે એ વાત સૌકોઈ લોકો જાણે છે અને રાજકોટમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક લક્ષ્યાંક સાથે 1,11,111 સ્ટ્રક્ચર બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે અને આ માટે રાજ્યસરકાર તરફથી પણ તેમને ફંડ આપવામાં આવ્યું છે રાજકોટ સહીત સૌરાષ્ટ્રના દાતાઓ પણ તેમાં સહભાગી બની રહ્યા છે. આગામી એક થી બે વર્ષમાં સૌરાષ્ટ્રની પ્યાસી ધરતીને તૃપ્ત કરવા માટે પ્રયત્ન થઇ રહ્યો છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, આખા દેશમાં જ્યાં પાણી વધારે છે ત્યાંથી જ્યાં પાણી ઓછું છે ત્યાં પાણી લઇ જવા માટેની યોજના સહીત અનેક પ્રોજેક્ટો અમારા મંત્રાલયમાં થઇ રહ્યા છે. આવાનરી પેઢીને પાણી માટે તકલીફ ના પડે એ માટે જળ સંચય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાતના લોકો જે રીતે કામ કરી રહ્યા છે તે જોઈને આખા દેશમાં અલગ અલગ રાજ્યના લોકો પ્રેરિત થઇ કામ કરી રહ્યા છે. ગુજરાત મોડલ છે અને આ જન ભાગીદારીનું મોડલ પણ આખા દેશમાં ચાલી રહ્યું છે. ગુજરાત ક્યાંય પાછળ ન રહે એના માટે કારણ કે આપણે જ લીડર છીએ આ વાત યાદ રાખી સૌ સાથે મળી આગળ વધીએ તેવું હું સૌને અપીલ અને આહવાન કરું છું. પ્રખ્યાત કવિ ડો. કુમાર વિશ્વાસએ જણાવ્યું હતું કે, ભારત એ એક એવી સંસ્કૃતિ છે કે જ્યાં પ્રાકૃતિક અવયવયોને ઈશ્વર માનવામાં આવે છે રાસાયણ નહિ. બીજા દેશમાં પાણીને H2O કહેવામાં આવે છે આપણે દેવતા કહીએ છીએ. વિશ્વ આખું પહાડ અને પત્થર કહે છે આપણે દેવતા કહીએ છીએ. આપણે વાયુને ભગવાન હનુમાનના પિતા માનવામાં આવે છે. રાજકોટમાં ગીરગંગા પરિવાર દ્વારા જળ સંચય માટે ખુબ સારો પ્રયાસ કર્યો છે. ભગવાન કૃષ્ણના અલગ અલગ પ્રસંગો આધારિત 3 દિવસની કથાનું રસપાન કરાવવામાં આવશે. પાણી એ એક ગંભીર વિષય છે જનભાગીદારીથી જળ સંચયનો પ્રયાસ થાય એવી હું આશા કરું છું. ગ્રામ્ય વિસ્તારમાં જળ સંચય પહેલેથી ચાલતું હતું અંગ્રેજો ના આવવા બાદ આ દૂર થી ગયું હતું પરંતુ હવે બધાએ સાત મળી જળ સંચય કરીશું તો આવત પેઢી માટે ચિંતા દૂર થઇ જશે અને મોટું સ્ટેપ દેશ માટે લઇ શકીશું.
રાજકોટ શહેરમાં રહેતા યુવાને મિત્રતાના દાવે આર્થિક મદદ માટે આપેલી રકમ રૂ.12 લાખ પરત કરવા યુવકે આપેલ ચેક બેંકમાંથી વગર વસૂલાતે પરત ફરવાના ગુનાનો કેસ ચાલી જતાં કોર્ટે આરોપી મિત્ર વિપુલ ઉર્ફે પુષ્પરાજ લોખિલને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે. જયારે બીજા કેસમાં વેપારીએ આર્થિક મદદ માટે મિત્રને આપેલી રકમ પરત કરવા આપેલો ચેક બેંકમાંથી વગર વસુલાતે પરત ફરવા અંગેનો કેસ ચાલી જતા કોર્ટે આરોપીને બે વર્ષની સજા અને ચેકની ડબલ રકમનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે. 12 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરાયો રાજકોટ શહેરમાં રહેતા વિપુલ ઉર્ફે પુષ્પરાજ દેવાયતભાઈ લોખીલને ધંધામાં આર્થિક જરૂરિયાત ઉપસ્થિત થતા મિત્ર મનદીપસિંહ પ્રદિપસિંહ સરવૈયા પાસેથી 12 લાખ રૂપિયા વગર વ્યાજે લીધા હતા. જે રકમ ચૂકવવા આપેલો ચેક બેંકમાંથી રિટર્ન થતા કાયદાકીય જોગવાઈ પ્રમાણે વિપુલ લોખીલને નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અંતે અદાલતમાં ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે કેસની સુનાવણી ચાલવા પર આવતા બંને પક્ષોની રજૂઆત બાદ બચાવ પક્ષના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલિલ તેમજ દસ્તાવેજ પુરાવા અને હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાઓને ધ્યાને લઈ કોર્ટે આરોપી વિપુલ દેવાયત લોખીલને નિર્દોષ ઠેરવી છોડી મૂકવાનો હુકમ કર્યો છે. આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશભાઈ સભાડ, રણજીત મકવાણા ,યોગેશ જાદવ, મદદનીશ અભય ચાવડા, વિક્રમ કિહલા, સંજય મકવાણા, વિશાલ ડેડાણીયા અને ગૌરવ જરીયા રોકાયા હતા 3.50 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને 2 વર્ષની સજારાજકોટ શહેર માં રહેતા રાજેશ બલરામ ગુપ્તાને આર્થિક જરૂરિયાત ઉપસ્થિત થતા સાગર ફૂડ નામે વ્યવસાય કરતા ખીમાણી સાગરભાઇ હસમુખભાઈ પાસેથી મિત્રતાના દાવે સાત લાખ રૂપિયા હાથ ઉછીના લીધા હતા. બાદ રકમની ચુકવણી માટે રાજેશકુમાર ગુપ્તાએ 3.50 લાખનો ચેક આપ્યો હતો જે ચેક બેંકમાંથી વગર વસુલાતે પરત ફરતા સાગરભાઇ ખીમાણીએ રાજેશકુમાર ગુપ્તાને કાયદાકીય જોગવાઈ મુજબ નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અંતે રાજેશકુમાર ગુપ્તા સામે અદાલતમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરીયાદ ચાલી જતા બંને પક્ષોની રજૂઆત બાદ ફરીયાદીના વકીલ હેમલકુમાર બી.ગોહેલએ દલીલમાં રાજેશકુમાર ગુપ્તાનો શરૂઆતથી ઈરાદો છેતરપિંડી હતો તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાને ધ્યાને લઈ કોર્ટે આરોપી રાજેશકુમાર ગુપ્તાને બે વર્ષ સજા કરી, ચેકની રકમની બમણી રકમનું વળતર જો રકમની ચુકવણી ન કરે તો છ માસની વધુ સજા કરતો હુકમ ફરમાવ્યો છે. ફરિયાદી સાગર ફુડના પ્રોપરઈટર ખીમાણી સાગરભાઈ વતી એડવોકેટ હેમલકુમાર બી.ગોહેલ, હિરેન્દ્રસિંહ આર.ચોહાણ અને આનંદ સદાવ્રતિ રોકાયા હતા.
અમદાવાદમાં આઈ કેન આઈ વીલ ફાઉન્ડેશન દ્વારા MSME ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. સૂર્યમ રીપોઝ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રીબોર્ન 2026- ડિઝાઇન અ મેમોરેબલ લાઈફ વિષય પર ઉદ્યોગસાહસિકોને માર્ગદર્શન અપાયું. બિઝનેસ કોચ શ્યામ તનેજાના નેતૃત્વ હેઠળ યોજાયેલા આ વર્કશોપમાં 100થી વધુ બિઝનેસમેનોએ ભાગ લીધો હતો. શ્યામ તનેજા અને નીરુ ગુપ્તાએ ઉપસ્થિતોને સંબોધિત કર્યા હતા. આ ઇવેન્ટનો મુખ્ય સંદેશ યોગ્ય માનસિકતા અને દ્રઢ નિશ્ચય સાથે સપનાને સાકાર કરવાનો હતો. બિઝનેસ કોચ શ્યામ તનેજાએ જણાવ્યું કે, ફાઉન્ડેશન દર વર્ષે આવા કાર્યક્રમોનું આયોજન કરે છે. ગત વર્ષે મેનિફેસ્ટેશન વર્કશોપ યોજાયો હતો, જ્યારે આ વર્ષે રીબોર્ન 2026 દ્વારા નાના અને મધ્યમ કદના ઉદ્યોગસાહસિકોને નવી શરૂઆત માટે પ્રેરિત કરવામાં આવ્યા. રીબોર્ન 2026 – ડિઝાઇન અ મેમોરેબલ લાઈફનો મુખ્ય હેતુ વ્યક્તિઓ અને ઉદ્યોગસાહસિકોને ગત વર્ષના પડકારોને ભૂલીને 2026ને નવા દ્રષ્ટિકોણ અને ઊર્જા સાથે શરૂ કરવા પ્રેરિત કરવાનો હતો. આ કોન્સેપ્ટ ત્રણ સ્તંભો પર આધારિત છે: 'રીડિફાઈન' – હેતુ, મૂલ્યો અને અભિલાષાઓને ફરીથી પરિભાષિત કરવા; 'રીબિલ્ડ' – ગત અનુભવોમાંથી શીખીને નવા લક્ષ્યો અને રણનીતિઓ બનાવવી; અને 'રીબોર્ન' – નવા આત્મવિશ્વાસ અને હકારાત્મકતા સાથે જીવનને યાદગાર દિશામાં લઈ જવું. વર્કશોપ દરમિયાન ઉપસ્થિતોને માઇન્ડસેટ શિફ્ટ, વિઝન ડેવલપમેન્ટ અને ગોલ-સેટિંગ માટે વ્યવહારિક સાધનો પૂરા પાડવામાં આવ્યા. પ્રતિભાગીઓને 2026 માટે સ્પષ્ટ અને વાસ્તવિક લક્ષ્યો નક્કી કરવા, વિઝ્યુલાઇઝેશન અને સકારાત્મકતાનો ઉપયોગ કરવા તેમજ મોટા ધ્યેયોને નાના પગલાંઓમાં વિભાજીત કરવાની તકનીકો સમજાવવામાં આવી. વક્તાઓએ સતત શીખવાની, અનુકૂલનશીલતા અને મજબૂત નેટવર્ક બનાવવાની મહત્ત્વતા પર પણ ભાર મૂક્યો હતો.
આગામી નાતાલ અને 31મી ડિસેમ્બરની ઉજવણીને લઈને વડોદરા શહેર પોલીસ હરકતમાં આવી છે. હોટલના સંચાલકો અને માલિકોને બોલાવી સીસીટીવી કેમેરા, આવતા ગ્રાહકોના આઇડી પ્રુફ લેવા સહિતની તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી હતી. વડોદરા શહેર પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર તથા એડિશનલ પોલીસ કમિશ્નર લીના પાટીલના માર્ગદર્શન હેઠળ મદદનીશ પોલીસ કમિશ્નર ડો.જે.એમ.ચાવડા ઝોન 1ની અધ્યક્ષતામાં આગામી નાતાલ તહેવાર તથા થર્ટી ફસ્ટ તહેવાર ઉજવણી અનુસંધાને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સયાજીગંજ પોલીસ સ્ટેશન હદમાં આવેલી હોટલો ધરાવતા માલિકો, સંચાલકો સાથે પોલીસ સંવાદ કરવામાં આવ્યો હતો. પોલીસના આ સીધા સંવાદમાં હોટલમાં આવતા કસ્ટમર પાસેથી તેમના આઈડી પ્રૂફ લેવા તેમજ પથિક સોફ્ટવેરમાં ફરજિયાત ઓનલાઇન એન્ટ્રી કરવા તેમજ હોટેલમાં એન્ટ્રી તથા એક્ઝિટના સીસીટીવી કેમેરા ચાલુ હાલતમાં રાખવા સહિત હોટલમાં ફાયર સેફ્ટીના સાધનો પૂરતા રાખી તેની સમ્યાન્તરે ચકાસણી કરવી અને કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવી ઉપરાંત એલારામ સિસ્ટમ બાબતે જરૂરી સુચના આપી અન્ય જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, વડોદરા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની શાનદાર ઉજવણી કરવામાં આવશે. શહેરના ખાસ પોશ કહેવાતા વિસ્તારોમાં યુવાધન ઉમટશે અને 2025ને અલવિદા અને નવા વર્ષ 2026 ને વેલકમ કરવામાં આવશે. ત્યારે એકત્ર થતી ભારે ભીડનો લાભ લઈ અસામાજિક તત્વોનો નાપાક મનસુબો પાર ન પડે અને કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા અગાઉથી જ એક્શન પ્લાન ઘડી દેવામાં આવ્યો છે.

25 C