SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

29    C
... ...View News by News Source

વડોદરા જિલ્લા પોલીસની 100 કલાકની સ્પેશ્યલ કોમ્બીંગ ડ્રાઇવ પૂર્ણ:550થી વધુ આરોપીઓને શોધવામાં આવ્યા, 150થી વધુ આરોપીઓના ડોઝીયર્સ તૈયાર કર્યા

વડોદરા જિલ્લા પોલીસ દ્વારા 100 કલાકની સ્પેશ્યલ કોમ્બીંગ ડ્રાઇવ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ દરમિયાન 550થી વધુ આરોપીઓને શોધવામાં આવ્યા છે અને 150થી વધુ આરોપીઓના ડોઝીયર્સ તૈયાર કરવામાં આવ્યા છે. રાજ્ય પોલીસ વડા દ્વારા તા.17/11/2025ના રોજ ગુજરાત રાજયમાં છેલ્લા ૩૦ વર્ષમાં (1) હથિયાર ધારા (2) એન.ડી.પી.એસ. એકટ (3) એકસપ્લોઝીવ એકટ (4) બનાવટી ચલણી નોટો (5) ટાડા પોટા તથા મકોકા તેમજ યુ.એ.પી.એ. (6) પેટ્રોલીયમ ધારા જેવા વિવિધ કાયદાના ગુનાઓમાં પકડાયેલા આરોપીઓને શોધી તેમની હાલની પ્રવૃતિઓની ચકાસણી કરીને ડોઝીયર્સ તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી. આરોપીઓની વિવિધ માહીતી જેવી કે, તેમના પરિવારની, મિત્રોની, સગા સબંધીઓની, મિલ્કતોની, સંપર્કોની માહીતી એકઠી કરી ડોઝીયર્સ ફોર્મ તૈયાર કરવા સુચના આપી હતી, જેના આધારે વડોદરા રેન્જ આઈજી સંદિપસિંહે વડોદરા જીલ્લામાં 100 કલાકની સમય મર્યાદાની અંદર ઉપરોકત ગુનાઓના છેલ્લા 30 વર્ષમાં પકડાયેલા આરોપીઓને ટ્રેસ કરી જરૂરી કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપ્યું હતું. રેન્જની આઇજીની સૂચનાના આધારે વડોદરા જિલ્લા પોલીસ વડા સુશિલ અગ્રવાલ દ્વારા પોલીસ અધિકારી અને કર્મચારીઓની ટીમો તથા જીલ્લાના 14 પોલીસ સ્ટેશન, એલ.સી.બી. તેમજ એસ.ઓ.જી. દ્વારા પણ વિવિધ ટીમો બનાવી વડોદરા ગ્રામ્ય જીલ્લા ખાતે ઉપરોકત ગુનાઓના આરોપીઓની યાદી તૈયાર કરતા 550થી વધુ આરોપીઓની વિગતો મળેલ અને ઉપરોકત વિવિધ ટીમો દ્રારા અલગ-અલગ સ્થળોએ કોમ્બીંગ હાથ ધરી તેમને ટ્રેસ કરી વેરીફીકેશન કરતા 200થી વધુ આરોપીઓ 100 કલાકની કોમ્બીંગની કામગીરી દરમ્યાન ટ્રેસ કરવામાં આવ્યા હતા. તે પૈકી ઝીણવટીભરી રીતે તપાસ કરતા 30થી વધુ આરોપીઓ મરણ ગયેલ હોવાનું જણાઇ આવ્યું હતું, જેઓના મરણના પુરાવા એકત્રીત કરવામાં આવ્યા હતા તેમજ 2 આરોપીઓ હાલમાં જેલમાં હોવાનુ જણાઇ આવ્યું હતું, તેઓની જેલની પ્રવૃત્તિ બાબતે વોચ તપાસ રાખવામાં આવી છે. કોમ્બીંગ દરમ્યાન 150થી વધુ આરોપીઓ હાજર મળી આવતા તેમની હાલની પ્રવૃત્તિ તેમજ ગુનાહીત પ્રવૃત્તિની ચકાસણી કરવામાં આવી હતી. તેઓની વિવિધ માહીતી જેવી કે, તેમના પરિવારની, મિત્રોની, સગા સબંધીઓની, મિલ્કતોની, સંપર્કોની તેમજ તેઓની હાલની પ્રવૃત્તિની વિગતો એકઠી કરી ડોઝીયર્સ ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે તેમજ આ આરોપીઓના બીજા કોઇ ગુનાહિત ઇતિહાસ તેમજ ગુનાહિત પ્રવૃતિ બાબતે તથા સમગ્ર દેશમાં કોઇપણ જગ્યાએ ગુનો આચરેલ હોય તે બાબતોની ચકાસણી માટે ICJS પોર્ટલ, e-GujCop, NAFIS પોર્ટલ વિગેરેનો ઉપયોગ કરી જરૂરી માહિતી એકઠી કરવામાં આવી છે આ આરોપીઓની શોધખોળ માટે વિવિધ વિસ્તારોમાં કોમ્બીંગ દરમ્યાન સી.સી.ટી.વી. જાહેરનામા ભંગના-6 કેસ, મકાન ભાડુઆત જાહેરનામા ભંગના-5 કેસ, સીક્યુરીટી ગાર્ડ જાહેરનામા ભંગના-1 કેસ, મજુર જાહેરનામા ભંગના-1 કેસ મળી કુલ-13 જાહેરનામા ભંગના કેસ દાખલ કરવામાં આવ્યા છે તથા એમ.વી. એક્ટ 207 મુજબ-94 વાહન ડીટેઇન કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 8:16 pm

ભરૂચના યુવકનું અપહરણ અને ખંડણી કેસ:વડોદરા પોલીસે આરોપી સસ્પેન્ડેડ પોલીસકર્મી યાજ્ઞિકની એક્ટિવા, આરોપી આફતાબના ઘરેથી કાર અને 1 લાખ રૂપિયા કબજે કર્યાં

ભરૂચના યુવકનું અપહરણ કરનાર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે પોલીસે ગુનામાં વપરાયેલી આરોપી આફતાબની કાર, સસ્પેન્ડેડ આરોપી પોલીસકર્મી યાજ્ઞિક ચાવડાની એક્ટિવા અને આફતાબના ઘરેથી રૂ.1 લાખ રિકવર કર્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના શેરપુરા રોડ પર આવેલી મદીના પાર્ક સોસાયટીમાં રહેતા અફાન ઉસ્માન કાનીનું ત્રણ જણાએ અમદાવાદ એસઓજી પોલીસ હોવાની ઓળખ આપી યુવકની મહિલા મિત્રને અન્ય કારમાં અપહરણ કરી લઇ ગયાં હતા, ત્યારબાદ 50 લાખની માગણી કરી હતી. 50 લાખ આપવા પડશે, નહી તો તારા પર ખોટા કેસ કરી ફસાવી દઇશુ તેવી ધમકી આપી હતી. યુવકની પાસેથી સાડા ચાર લાખ રૂપિયા બળજબરીથી પડાવી લીધા હતા. જેમાં પોલીસ દ્વારા પોલીસે સેન્ટ્રલ જેલમાં હવાલદાર તરીકે ફરજ બજાવતા યાજ્ઞિક ચાવડા અને કે. ડી. કુંભાર તેમજ આફતાબ પઠાણ અને અન્ય એક મળી સહિત ચાર લોકો સામે અપહરણ તથા ખંડણીનો ગુનો દાખલ કર્યો હતો. જેમાં ડીસીપી ઝોન -3 અભિષેક ગુપ્તા દ્વારા અલગ અલગ ટીમો બાવીને અપહરણ કારો પાકીને બે આરોપી યાજ્ઞિક ચાવડા તથા આફતાબ નઇમખાન પઠાણ ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે કાના દાના કુંભાર સહિત બેને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમની અલગ અલગ ટીમો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસે જે યુવતી ભરુચના યુવક સાથે કારમાં હતી અને તેને અન્ય કારમાં અપહરણકારો બેસાડી લઇને તેનું અપહરણ કરી લઇ ગયાં હતા. તે યુવતી પણ પોલીસ સમક્ષ હાજર થઇ ન હતી. જેથી પોલીસે આ યુવતીને નોટિસ આપીને તેને બોલાવવામાં આવી છે, જોકે યુવતી હજી સુધી આવી નથી. બીજી તરફ જે પોલીસ લાઇનની સામે જે વ્યક્તિને રૂપિયા આપ્યાં હતા તેને નિવેદન માટો પોલીસ દ્વારા બોલાવવામાં આવ્યો છે. આ દરમિયાન પોલીસે ગુનામાં વપરાયેલી આફતાબની કાર તથા યાક્ષિક ચાવડાની એક્ટિવા કબજે કરી છે. આ ઉપરાંત ભરુચના યુવક પાસેથી પડાવેલા એક લાખ રૂપિયા આફતાબે તેના ઘરે રાખ્યાં હતા, તે પણ પોલીસે કબજે કર્યા છે. આ ઉપરાંત ગુનામાં વપરાયેલી કાર પણ જપ્ત કરી છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 8:13 pm

ગાંધીનગરની કંપનીના માલિકને ડાંગ સાયબર પોલીસે દબોચ્યો:માઈક્રો ટેક્નોલોજીની સાયબર ક્રાઈમના 14 ગુનામાં સંડોવણી ખુલી; આરોપી શેરબજાર, ક્રિપ્ટો અને રોકાણના નામે છેતરપિડીં આચરતો

ડાંગ જિલ્લા પોલીસે આંતરરાજ્ય સાયબર ફ્રોડના એક ગંભીર કેસમાં મોટી સફળતા મેળવી છે. ડાંગ સાયબર ક્રાઇમ પોલીસે ગાંધીનગર સ્થિત માઇક્રો ટેક્નોલોજી કંપનીના માલિક રાજેશકુમાર રામચરિત્ર સિંઘને ઝડપી પાડ્યો છે. આરોપી 14 જેટલા સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલો હતો. ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન તેણે અન્ય ગુનાઓની પણ કબૂલાત કરી છે, જેનાથી તપાસનો વ્યાપ વધ્યો છે. આ કેસ ડાંગ જિલ્લાના ચિરાપાડા ગામના એક વ્યક્તિની ફરિયાદ પરથી શરૂ થયો હતો. પીડિતને શેરબજારમાં રોકાણ કરાવી ઊંચા નફાની લાલચ આપી છેતરવામાં આવ્યો હતો. આરોપીઓએ હાઈ-પ્રોફાઇલ ટ્રેડિંગ પ્લેટફોર્મ અને નફાના ખોટા દાવાઓ બતાવી પીડિત પાસેથી ₹1.70 લાખ જેટલી રકમ પડાવી હતી.ફરિયાદ મળ્યા બાદ ડાંગ સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ સોર્સ, ડિજિટલ પુરાવા અને બેંક ટ્રાન્સફર ટ્રેઇલના આધારે તપાસ શરૂ કરી હતી. કંપનીનો માલિક જ ખાતા ઓપરેટ કરતોતપાસ દરમિયાન જાણવા મળ્યું કે 14 જેટલા સાયબર ગુનાઓમાં ઉપયોગમાં લેવાયેલા બેંક ઓફ બરોડાના ખાતા માઈક્રો ટેક્નોલોજી કંપનીના માલિક રાજેશકુમાર સિંઘના નામે હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વર્ષોથી વિવિધ રાજ્યોમાં ઓનલાઈન શેરબજાર, ક્રિપ્ટો ટ્રેડિંગ અને રોકાણના નામે લોકો સાથે છેતરપિંડી કરતો હતો. ડાંગ પોલીસે તેની ટેકનિકલ કુશળતાનો ઉપયોગ કરીને આરોપીને ગાંધીનગરમાંથી ઝડપી પાડ્યો. પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યોરિમાન્ડ દરમિયાન સાયબર ક્રાઇમ ટીમે આરોપી પાસેથી મોબાઈલ ફોન, બેંક ખાતાની વિગતો, ડિજિટલ વોલેટ અને અન્ય ડિવાઇસ સહિતના ટેકનિકલ પુરાવા જપ્ત કર્યા છે. આ પુરાવાઓના આધારે વધુ વિગતો બહાર લાવવામાં આવી રહી છે. તપાસમાં આરોપી સામે અન્ય રાજ્યોમાં પણ સમાન પ્રકારના ગુનાઓ નોંધાયા હોવાની શક્યતા છે. લોકોને સજાગ રહેવા પોલીસની અપીલડાંગ પોલીસે નાગરિકોને ઓનલાઈન રોકાણ, શેરબજાર કે ઊંચા નફાના વાયદા કરતી અજાણી લિંક્સ અને કોલથી સાવચેત રહેવા અપીલ કરી છે. સાયબર ફ્રોડ સામે ડાંગ પોલીસની આ કાર્યવાહીને સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 8:01 pm

મોડાસામાં દોલપુર પાસે કાર-બાઇક અકસ્માતમાં બાઇક ચાલકનું મોત:કાર બાઇકને અડફેટે લઈ ઝાડીમાં ઉતરી, સ્પીડબ્રેકરની માંગ

મોડાસા પાસેના દોલપુર ગામ નજીક આજે સાંજે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ, એક કાર ચાલક પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારી રહ્યો હતો. તેણે સામેથી આવતી બાઇકને અડફેટે લીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર બાઇકને અડફેટે લીધા બાદ રોંગ સાઇડમાં ઝાડીઓમાં ઉતરી ગઈ હતી. મૃતક બાઇક ચાલક મેઘરજના પહાડિયા ગામનો વતની હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, મોડાસા-મેઘરજ માર્ગ નવો બન્યો છે, પરંતુ ગામો પાસેથી પસાર થતા રસ્તા પર સ્પીડબ્રેકર કે બમ્પ ન હોવાને કારણે આવા અકસ્માતો વારંવાર બનતા રહે છે. આ ઘટના બાદ દોલપુર ગામના સ્થાનિકો દ્વારા રોડ પર સ્પીડબ્રેકર બનાવવાની તાત્કાલિક માંગ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 7:53 pm

પંચમહાલ પોલીસે IGP કપ ક્રિકેટ ટુર્નામેન્ટ જીતી:ફાઇનલમાં દાહોદ કલેક્ટર ટીમને 64 રનથી હરાવી

ગોધરાના રાજ્ય અનામત પોલીસ દળ (SRP) જૂથ–5 ખાતે આયોજિત IGP કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ સમાપન થયું છે. 23 નવેમ્બરે રમાયેલી ફાઇનલ મેચમાં પંચમહાલ પોલીસની ટીમે દાહોદ જિલ્લા કલેક્ટરની ટીમને 64 રનથી હરાવી વિજય મેળવ્યો હતો. આ ટુર્નામેન્ટ 5 નવેમ્બરથી શરૂ થઈ હતી. તેમાં પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લા પોલીસની ટીમો તેમજ દાહોદ જિલ્લા કલેક્ટરની ટીમ સહિત કુલ પાંચ ટીમોએ ભાગ લીધો હતો. આયોજનનો મુખ્ય હેતુ વહીવટી તંત્ર અને કાયદા વ્યવસ્થાની વિવિધ શાખાઓ વચ્ચે સંકલન, સૌહાર્દ અને ખેલદિલી વધારવાનો હતો. ગોધરા રેન્જના IGP રાજેન્દ્ર અસારીના માર્ગદર્શન હેઠળ આ ટુર્નામેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થઈ. દરેક ટીમે લીગ રાઉન્ડમાં ચાર મુકાબલા રમ્યા હતા. ફાઇનલ મુકાબલો પંચમહાલ પોલીસ અને દાહોદ જિલ્લા કલેક્ટરની ટીમ વચ્ચે યોજાયો હતો. ટોસ જીતીને પંચમહાલ પોલીસે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને નિર્ધારિત 20 ઓવરમાં 150 રનનો સ્કોર બનાવ્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દાહોદ જિલ્લા કલેક્ટરની ટીમ 86 રન જ બનાવી શકી, જેથી પંચમહાલ પોલીસની ટીમે 64 રનથી જીત મેળવી. આ ટુર્નામેન્ટમાં મોટી સંખ્યામાં અધિકારીઓ અને પોલીસકર્મીઓ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. SRP જૂથ–5ના અધિકારીઓ, ગોધરા રેન્જ પોલીસ અને વહીવટી તંત્રની ટીમોએ આયોજન અને વ્યવસ્થાપનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. IGP રાજેન્દ્ર અસારીનો આ પ્રયાસ ખેલભાવના અને પરસ્પર સુમેળ વધારવામાં મદદરૂપ થયો.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 7:46 pm

સચિવાલયમાં ‘પોલિસી પેરાલિસિસ’નો ખતરો!:બઢતીના શૂન્યાવકાશથી કર્મચારીઓમાં નિરાશા, નબળું કેડર મેનેજમેન્ટ વહીવટ પર પ્રતિકૂળ અસર કરી રહ્યું હોવાનો એસોસિએશનનો આક્ષેપ

ધી ગુજરાત સચિવાલય સેક્શન અધિકારી એસોસિએશનએ સચિવાલયમાં સેક્શન અધિકારી, વર્ગ-2ની મોટી સંખ્યામાં ખાલી રહેલી જગ્યાઓ તાત્કાલિક ફિડર કેડરના નાયબ સેક્શન અધિકારીઓ ભરવા રાજ્ય સરકારને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મુખ્ય સચિવને વિસ્તૃત લેખિત રજૂઆત કરવામાં આવી છે. 231 જગ્યા એટલે કે 38 ટકા લાંબા સમયથી ખાલીરજુઆતમાં જણાવ્યા મુજબ સચિવાલયમાં સેક્શન અધિકારીની કુલ 606 જગ્યા પૈકી 231 જગ્યા એટલે કે 38 ટકા લાંબા સમયથી ખાલી છે. જેના કારણે હાલ સેવા આપતા અધિકારીઓ પર વધારાનો કામનો બોજ વધ્યો છે અને નીતિ આધારિત અને મહત્વપૂર્ણ કામગીરીની ગતિ પર સીધી અસર થઈ રહી છે. ભરતી પ્રક્રિયા પૂર્ણ થવા 2-3 વર્ષ લાગતા હોય છેએસોસિએશનના જણાવ્યા મુજબ આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવાની વ્યવસ્થા હોવા છતાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થવા 2-3 વર્ષ લાગતા હોય છે. ઉપરાંત, નિયુક્ત નવા અધિકારીઓને તાલીમ અને અજમાયશી સમયગાળા બાદ કાર્યક્ષમ બનવા 4થી 5 વર્ષ જેટલો સમય લાગી જતા હોવાથી તંત્રમાં કાર્યક્ષમતા અને નિર્ણયક્ષમતાનો અભાવ સર્જાઈ રહ્યો છે. 2040 સુધી માત્ર 350 જેટલા અધિકારીઓને જ બઢતી મળવાની શક્યતાહાલ સચિવાલયમાં 1350થી વધુ નાયબ સેક્શન અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે, પરંતુ સેવા નિયમો પ્રમાણે વર્ષ 2040 સુધી માત્ર 350 જેટલા અધિકારીઓને જ બઢતી મળવાની શક્યતા છે. બાકી રહેલા લગભગ 1000 કર્મચારીઓ દાયકાઓ સુધી બઢતીથી વંચિત રહેવાની સ્થિતિ સર્જાઈ છે, જેનાથી કર્મચારીઓમાં અસંતોષ, નિરાશા અને હતોત્સાહ વધી રહ્યો છે. રજુઆતમાં જણાવ્યા મુજબ બઢતી ન મળવાને કારણે કર્મચારીઓમાં ફ્રસ્ટ્રેશન, નિર્ણય પ્રક્રિયામાં વિલંબ અને પોલિસી પેરાલિસિસ જેવા નકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે જે રાજ્યના સમગ્ર વહીવટ પર અસરકારક છે. એસોસિએશને માંગણી કરી છે કે, ભરતી નિયમોમાં યોગ્ય ફેરફાર કરીને સેક્શન અધિકારીની ખાલી જગ્યાઓ તાત્કાલિક ફિડર કેડરના અનુભવી નાયબ સેક્શન અધિકારીઓથી ભરવામાં આવે, જેથી અનુભવ ધરાવતા કર્મચારીઓ વહીવટમાં યથોચિત રીતે યોગદાન આપી શકે અને રાજ્યના વિકાસલક્ષી કાર્યમાં વેગ મળી રહે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 7:36 pm

જામનગરમાં CMના કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ:એરપોર્ટથી સભા સ્થળ સુધી 30 કારના કાફલા સાથે રૂટનું રિહર્સલ, 54 કામોનું ખાતમુહૂર્ત, 15 કામોનું લોકાર્પણ કરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સોમવારે જામનગરની મુલાકાત લેશે. તેઓ સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરશે અને કુલ 622.52 કરોડ રૂપિયાના 69 વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરશે. મુખ્યમંત્રીના કાર્યક્રમ માટે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. રવિવારે, એરપોર્ટથી સાત રસ્તા બ્રિજ અને સભા સ્થળ સુધી 30 જેટલી કારના કાફલા સાથે રૂટનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના હસ્તે 54 કામોના ખાતમુહૂર્ત અને 15 કામોના લોકાર્પણ કરવામાં આવશે. જે કામોના ખાતમુહૂર્ત થનાર છે તેમાં જામનગર મહાનગરપાલિકા હસ્તકના રૂ. 33.89 કરોડના કામો, પશુપાલન વિભાગના 13 કામો, માર્ગ અને મકાન વિભાગના રૂ. 64.03 કરોડના 34 કામો, પોલીસ વિભાગનું રૂ. 20.36 કરોડનું એક કામ, જિલ્લા આયોજન કચેરી હસ્તકનું રૂ. 0.09 કરોડનું એક કામ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તકનું રૂ. 0.90 કરોડનું એક કામ સામેલ છે. લોકાર્પણ થનાર કામોમાં જામનગર મહાનગરપાલિકા હસ્તકના રૂ. 417.33 કરોડના સાત કામો, મેડિકલ કોલેજ હસ્તકનું રૂ. 54.94 કરોડનું એક કામ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તકના રૂ. 2.04 કરોડના ચાર કામો, સિંચાઈ વિભાગના રૂ. 13.26 કરોડના બે કામો અને જિલ્લા આયોજન કચેરી હસ્તકનું રૂ. 0.05 કરોડનું એક કામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અન્ય વિભાગોના રૂ. 101.01 કરોડના 53 કામોનું ખાતમુહૂર્ત અને રૂ. 70.29 કરોડના 8 કામોનું લોકાર્પણ પણ કરવામાં આવશે. મુખ્યમંત્રીના આગમનને પગલે જામનગર વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 7:00 pm

મંત્રી નરેશ પટેલ BLOની કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા:અફવાઓથી દૂર રહી તણાવમુક્ત કામ કરવા BLOને પ્રોત્સાહિત કર્યા

ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. આદિજાતિ મંત્રી નરેશ પટેલે તેમના મતવિસ્તારમાં બૂથ લેવલ ઓફિસર (BLO) ની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે BLO ને કોઈપણ અફવાઓ પર ધ્યાન આપ્યા વિના તણાવમુક્ત રીતે કામ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં મતદાર યાદી વિશેષ સુધારણા (SIR) કાર્યક્રમ અમલમાં છે. આ કાર્યક્રમમાં પ્રાથમિક શાળાના શિક્ષકોને BLO તરીકેની કામગીરી સોંપવામાં આવી છે. જોકે, આ શિક્ષકો દ્વારા તેમને પડતી વિવિધ સમસ્યાઓ અંગે ફરિયાદો ઉઠાવવામાં આવી છે. BLOને કામગીરીના દબાણને કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. એક શિક્ષકે SIR કામગીરીના દબાણ હેઠળ આત્મહત્યા પણ કરી હતી. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના શિક્ષકોએ સહાયક BLO માટે વધુ શિક્ષકોની નિમણૂકનો વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત, વ્યક્તિગત કે સામાજિક કારણોસર BLO ફરજ પર હાજર ન રહી શકે તો ધરપકડ વોરંટ કાઢવાના નિયમ રદ કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી. આ પરિસ્થિતિ વચ્ચે, મંત્રી નરેશ પટેલે BLO ની કામગીરીનું નિરીક્ષણ કરવા અને તેમને પ્રોત્સાહિત કરવા ખેરગામ, મજીગામ અને દેવસર સહિત અંદાજે 15 બૂથની મુલાકાત લીધી હતી. તેમણે 70% કામગીરી પૂર્ણ થઈ હોવા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. મંત્રીએ BLOને મતદાર યાદીમાં જન્મ તારીખ, નામ અને અટક જેવી વિગતોમાં ભૂલ ન રહે તેની ખાસ તકેદારી રાખવા સૂચન કર્યું હતું. આદિજાતિ મંત્રી નરેશ પટેલે BLOને ટેન્શન વિના અને કોઈપણ પ્રકારની અફવાઓ ઉપર ધ્યાન ન આપી કામગીરી કરવા પ્રોત્સાહિત કર્યા હતા. ટેન્શન વિના BLO ને કામ કરવાની સલાહ મુદ્દે તેમણે સાચા મતદારને મતદાર યાદીમાં સમાવવાના કામને પુણ્યનું કામ ગણાવ્યું હતું. મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે, ભારતની આઝાદી બાદથી અનેક વાર અમારા BLO એ મતદાર યાદી સુધારવાનું કામ કર્યુ છે. ચુંટણી પંચના આદેશથી અમારા કર્મચારીઓ ખૂબ ભાવથી વર્ષોથી જોડાયેલા જ છે. કેટલાક લોકો ખોટી અફવાને કારણે ખોટી અફવાઓ ન ફેલાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ. BLOની કામગીરી એકબીજા સાથે આત્મીયતા કેળવવાનું છે, એકબીજા સાથે સંબંધ પણ કેળવાય છે અને સાચો મતદાર યાદીમાં આવે એ પણ પુણ્યનું કામ હોય છે, એટલે હું BLOને અભિનંદન પાઠવું છું. રાજ્યમાં BLOની કામગીરીમાં શિક્ષકોની ફરિયાદો વચ્ચે સરકાર દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનારા BLO ને સન્માનિત કરવા સાથે જ મંત્રીઓના નિરીક્ષણ થકી તેમનામાં સકારાત્મક જોમ ભરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 6:55 pm

એડ્રેસ પૂછી સોનાના દોરાની ચીલઝડપ:મહેસાણામાં ગાયત્રી મંદિરથી ઘરે જઈ રહેલા વૃદ્ધાના ગળામાંથી સોનાના દોરો તોડી અજાણ્યા શખ્સો ફરાર

મહેસાણા શહેરમાં ફરી એકવાર ચેન સ્નેચરો સક્રિય થયા છે.શહેરના ગાયત્રી મંદિર નજીક દર્શન કરી એક વૃધ્ધા પોતાના ઘરે ચાલીને જતા હતા એ દરમિયાન સરનામું પૂછવાના બહાને બે અજાણ્યા ઈસમોએ વૃધ્ધાના ગળામાં પહેરેલ બે તોલાનો સોનાનો દોરો ઝૂંટવી રફુચક્કર થઈ ગયા હતા.સમગ્ર ઘટના અંગે વૃદ્ધાએ ઘરે જાણ કરતા ત્યારબાદ મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા બે ઈસમો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તજવીજ આદરી છે. બાઈક પર આવેલા બે શખસો ગુનાને અંજામ આપી ફરારમહેસાણા શહેરમાં ધરમ સિનેમા પાછળ ત્રિવેણીપાર્ક સોસાયટીમાં રહેતા 67 વર્ષીય ઉષાબેન ચૌધરી આજે સવારે પોણા નવ વાગે પોતાના ઘરેથી ચાલીને મહેસાણા હાઇવે પર આવેલા ગાયત્રી મંદિરે દર્શન કરવા માટે ગયા હતા.અને દર્શન કરી પરત ઘરે ચાલીને જતા હતા એ દરમિયાન સ્વામિનારાયણ મંદિરના પ્રાર્થનાસભા હોલ પાસે જતા હતા એ દરમિયાન બે અજાણ્યા ઈસમોએ સંસ્કાર ફ્લેટ પાસે બાઇક ઉભું રાખી ઉભા હતા. બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી જેમાંથી એક ઇસમે વૃદ્ધા પાસે જઈ રામ લખન ફ્લેટ ક્યાં આવ્યા એમ પૂછવા નજીક ગયો અને વૃધા ના ગળામાં પહેરેલ સોનાનો દોરો ઝૂંટવી બાઇક પર બેસી હિંગળાજ ચોક તરફ ભાગી ગયો હતો.સમગ્ર ઘટના અંગે વૃધા એ ઘરે આવી પોતાના પતિને આ બાબતે જાણ કરી હતી.ત્યારબાદ તેઓએ મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં 1,35 લાખ કિંમતના સોનાના દોરા ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 6:53 pm

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં 8.21 લાખથી વધુ મુલાકાતીઓએ હાજરી નોંધાવી:દેશનો સૌથી મોટો સાહિત્યિક મહોત્સવ બન્યો, જ્ઞાનના મહાકુંભ તરીકે ઓળખ મળી

સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે 13થી 23 નવેમ્બર સુધી યોજાયેલા અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025માં કુલ 8.21 લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. જેને કારણે આ સાહિત્યિક મહોત્સવ રાજ્યમાં જ નહીં પરંતુ, રાષ્ટ્રીય સ્તરે પણ સૌથી વધુ મુલાકાતીઓ ધરાવતું બુક ફેસ્ટિવલ બની ગયો છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા પણ મુલાકાત લેવામાં આવી હતી. ખાસ કરીને યુવાઓ અને બાળકો પણ આ બુક સ્ટોલમાં આવીને સાહિત્ય અંગેની માહિતી મેળવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત ‘બેરિસ્ટર મિસ્ટર પટેલ’ સહિત અનેક પુસ્તકોનું લોન્ચિંગ પણ થયું હતું. આ મહોત્સવમાં 300થી વધુ પ્રકાશકોએ ભાગ લીધો હતોઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા લગભગ 1 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં તૈયાર કરાયેલ આ મહોત્સવમાં 300થી વધુ પ્રકાશકોએ ભાગ લીધો હતો. શહેરના દરેક વય જૂથ માટે ત્રણ વિશિષ્ટ ઝોન બનાવવામાં આવ્યા હતા, જેમાં બાળ સાહિત્ય, સર્જનાત્મક સત્રો, કાવ્ય-વાચન, લેખકો સાથેની ચર્ચાઓ, વર્કશોપ્સ અને ફિલ્મ ફેસ્ટિવલ જેવી પ્રવૃત્તિઓ સતત પ્રેક્ષકોને આકર્ષિત કરતી રહી હતી. વિવિધ સ્પર્ધાઓમાં હજારો વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયાઆ બુક ફેસ્ટિવલમાં બાળકોના વર્કશોપ્સ, વાર્તાવાચન કાર્યક્રમો, કલા-હસ્તકલા, ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલે વિશેષ લોકપ્રિયતા મેળવી હતી. સ્કૂલ બોર્ડના શતાબ્દી મહોત્સવના ભાગરૂપે યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં હજારો વિદ્યાર્થીઓને ઇનામો આપી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. યુવાનો માટેના ‘જ્ઞાન ગંગા’ વર્કશોપ્સે પણ મહોત્સવની ધમાકેદાર સફળતામાં મોટો ફાળો આપ્યો હતો. કાવ્ય લેખન, નાટક, ફિલ્મ સ્ક્રિપ્ટિંગ અને બુક ડિઝાઇન સહિતના સર્જનાત્મક વર્કશોપ્સ અને વિવિધ બુક લોન્ચ સત્રોએ વિદ્યાર્થીઓ, લેખકો અને સર્જકોને એકસાથે લાવ્યા હતા. દરરોજ યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ સમગ્ર મહોત્સવને જીવંત રાખ્યોઆ ઉપરાંત વિદેશી વક્તાઓની હાજરીએ મહોત્સવને વૈશ્વિક સ્પર્શ આપ્યો હતો. ચિલે, સ્પેન, ઇંગ્લૅન્ડ અને દક્ષિણ આફ્રિકામાંથી આવેલા વિચારકોએ ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિ સાથે સંબંધિત વિષયો પર વિશેષ સત્રો લીધા હતા. એટલું જ નહીં મેઇન સ્ટેજ પર દરરોજ યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ સમગ્ર મહોત્સવને જીવંત રાખ્યો હતો. આ મહોત્સવનું આયોજન સુવ્યવસ્થિતતા અને સુવિધાઓને કારણે પણ ખૂબ વખાણાયુ હતું. સ્વચ્છ કેમ્પસ, વિશાળ ફૂડ કોર્ટ, સ્ટાર્ટઅપ ઝોન, વીઆર ગેમિંગનું અનોખું સ્ટેમ્પ પ્રદર્શન અને વાંચન માટે અનુકૂળ વાતાવરણના કારણે અનેક પરિવારોને અહીં લાંબા સમય સુધી સમય વિતાવવાનો આનંદ મળ્યો હતો. આમ, આયોજકોએ કરેલી મહેનતને સ્મરણીય સફળતા મળતાં અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025ને ‘જ્ઞાનનો મહાકુંભ’ તરીકે ઓળખ મળી છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 6:53 pm

બોટાદમાં ગિરિરાજ જૈન સંકુલ ખાતે બાળ શિબિર:મોબાઇલ નિયંત્રણ, અભ્યાસમાં રુચિ અને ટેકનોલોજી સંતુલન મુખ્ય હેતુ

બોટાદ: બોટાદ શહેરના ગિરિરાજ જૈન સંકુલ ખાતે નાના બાળકો માટે એક વિશેષ શૈક્ષણિક અને પ્રેરણાત્મક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય હેતુ બાળકોમાં મોબાઇલના વધતા ઉપયોગને નિયંત્રિત કરવો, અભ્યાસ પ્રત્યે રુચિ જગાવવી અને ટેકનોલોજીના સંતુલિત ઉપયોગ અંગે માર્ગદર્શન આપવાનો હતો. શિબિર દરમિયાન, બાળકોને આધ્યાત્મિક જ્ઞાન, વ્યક્તિત્વ વિકાસ, નૈતિક મૂલ્યો, સમયનો સાર્થક ઉપયોગ અને નિયમિત અભ્યાસના મહત્વ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. બાળકોએ ઉત્સાહપૂર્વક વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો અને શાળાકીય જીવન તેમજ ભવિષ્ય માટે ઉપયોગી જ્ઞાન મેળવ્યું. ગિરિરાજ જૈન સંકુલ દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસને વાલીઓ અને સમાજના સભ્યો તરફથી વ્યાપક પ્રશંસા મળી છે. આવી શિબિરો નાના વિદ્યાર્થીઓમાં સકારાત્મક દૃષ્ટિકોણ અને સર્જનાત્મકતા વિકસાવવામાં મદદરૂપ થાય છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 6:51 pm

મોરબીમાં છત પરથી પડી યુવાનનું મોત:હળવદમાં વાડીએ વીજ શોકથી પરણીતાનું મૃત્યુ

મોરબી અને હળવદમાં જુદા જુદા બે બનાવમાં બે વ્યક્તિના મોત થયા છે. મોરબીના મહેન્દ્રનગર પાસે છત પરથી પડી જવાથી એક યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જ્યારે હળવદના અજીતગઢ ગામે વાડીએ વીજ શોક લાગવાથી એક પરિણીતાનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં શિવમ હોસ્પિટલ પાછળ રહેતા દીપકભાઈ હરિભાઈ પરમાર (ઉં.વ. ૩૦) પોતાના ઘરની છત પર બેઠા હતા. અચાનક ચક્કર આવતા તેઓ છત પરથી નીચે પટકાયા હતા. આ ઘટનામાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા દીપકભાઈને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મૃતક દીપકભાઈના ભાઈ કમલેશભાઈ હરિભાઈ પરમાર (ઉં.વ. ૩૭, રહે. ઇન્દિરાનગર, મોરબી) દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. બીજી ઘટનામાં, હળવદ તાલુકાના અજીતગઢ ગામની સીમમાં રજનીભાઈ પ્રેમજીભાઈ પટેલની વાડીએ મજૂરી કામ કરતા સામંતભાઈ ચૌહાણના પત્ની કીર્તિદાબેન સામંતભાઈ ચૌહાણ (ઉં.વ. ૨૦)નું વીજ શોક લાગવાથી મૃત્યુ થયું હતું. મૂળ દાહોદ જિલ્લાના વતની કીર્તિદાબેન વાડીએ આવેલા ઇલેક્ટ્રિક ટીસી (ટ્રાન્સફોર્મર) પાસે હતા ત્યારે અકસ્માતે તેમને વીજ કરંટ લાગ્યો હતો. વીજ શોક લાગતા કીર્તિદાબેનનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મૃતક મહિલાના પતિ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 6:48 pm

મોરબીમાં 'ધમાલ ગલી'માં અબાલવૃદ્ધ સૌ કોઈને મોજ પડી:બાળકોથી વૃદ્ધોએ વિસરાયેલી શેરી રમતોનો આનંદ માણ્યો, કલેક્ટરે પણ ભમરડા પર હાથ અજમાવ્યો

મોરબીમાં મહાપાલિકા અને રોટરી ક્લબ દ્વારા રવિવારે 'ધમાલ ગલી' કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કેસર બાગ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકોએ ભાગ લીધો હતો અને વિસરાઈ ગયેલી શેરી રમતોનો આનંદ માણ્યો હતો. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા અને મોબાઈલના વધતા ઉપયોગને કારણે બાળકો શેરી રમતોથી વિમુખ થઈ રહ્યા છે. પહેલાના સમયમાં શેરીઓમાં રમાતી લખોટી, થપો, ટાયર ફેરવવા, લંગડી, આંધળોપાટો, કોથળા દોડ, ધમાલિયો ધોકો અને ભમરડા જેવી રમતો હવે ભાગ્યે જ જોવા મળે છે. આ વિસરાઈ ગયેલી રમતોને ફરી જીવંત કરવાના હેતુથી 'ધમાલ ગલી'નું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે સહિતના અધિકારીઓ, બાળકો, યુવાનો અને વૃદ્ધોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉપસ્થિત સૌએ કોથળા દોડ, ધમાલિયો ધોકો, ભમરડો, લંગડી, આંધળોપાટો, મલ કુસ્તી, લખોટી, સાપસીડી અને દોરડા કૂદ જેવી વિવિધ રમતોની મજા માણી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રોટરી ક્લબના પ્રેસિડેન્ટ સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. આયોજકોએ જણાવ્યું કે, દર મહિને મોરબીના જુદા જુદા વિસ્તારોમાં આવી જ રીતે 'ધમાલ ગલી'નું આયોજન કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 6:32 pm

ભુજના ઢોરીમાં યુવતીની હત્યા:પ્રેમ સબંધ મામલે પથ્થરના ઘા મારી પ્રેમીએ જ પતાવી દીધી હોવાની શક્યતાં, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

ભુજના ઢોરી ગામે એક યુવતીની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. પ્રેમ સબંધમાં પથ્થરના ઘા મારી પ્રેમીએ જ હત્યા કરી હોવાની શક્યતાં છે. માધાપર પોલીસે યુવતીના મૃતદેહને પોસમોર્ટમ માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડ્યો છે. અમે આને સતત અપડેટ કરી રહ્યા છીએ...

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 6:14 pm

સાબરકાંઠામાં મતદાર યાદી સુધારણાની 63% કામગીરી પૂર્ણ:કલેક્ટરે મતદાન મથકોની મુલાકાત લીધી, BLO આવતીકાલથી ફિલ્ડમાં કામ કરશે

સાબરકાંઠા જિલ્લામાં મતદાર યાદી સુધારણા (SIR) કાર્યક્રમ હેઠળ 63 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. કુલ 21 દિવસમાં આ પ્રગતિ નોંધાઈ છે. હવે બાકીના 11 દિવસમાં કામગીરી પૂર્ણ કરવા માટે આવતીકાલથી બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) ફિલ્ડમાં જઈને ઘરે-ઘરે મુલાકાત લેશે. જિલ્લામાં કુલ 11,61,128 મતદારો નોંધાયેલા છે, જેમાં 5,87,484 પુરુષ, 5,73,591 સ્ત્રી અને 53 ત્રીજા જાતિના મતદારોનો સમાવેશ થાય છે. SIR કાર્યક્રમ 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી એક મહિના માટે ચાલવાનો છે. આ કાર્યક્રમ અંતર્ગત, જિલ્લા કલેક્ટર રવિવારે સવારથી પોશીના, ખેડબ્રહ્મા, વિજયનગર, ઇડર, વડાલી અને હિંમતનગરના વિવિધ મતદાન મથકોની મુલાકાત લીધી હતી. તેમણે BLOsની કામગીરીનું નિરીક્ષણ કર્યું અને જરૂરી જાણકારી મેળવી. ખેડબ્રહ્મા વિધાનસભા મતદાર વિભાગમાં મતદારોને મતદાન મથક પર ફોર્મ ભરવા માટે એકઠા કરવા રૂઢિગત પરંપરા મુજબ ઢોલ વગાડવામાં આવ્યા હતા. BLOs સાથે સહાયકો પણ મુકવામાં આવ્યા છે, જેથી કામગીરી ઝડપથી પૂર્ણ થઈ શકે. 23 નવેમ્બર, 2023 સુધીમાં 63 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. બાકીના 11 દિવસમાં SIRની કામગીરી પૂર્ણ કરવાની હોવાથી, BLOs પોતાના મતદાન મથક વિસ્તારમાં ફિલ્ડમાં જશે. તેઓ ઘરે-ઘરે પહોંચીને ભરાયેલા ફોર્મ પરત લેશે અને બાકી રહેલા ફોર્મ ભરવા અંગેની જાણકારી પણ આપશે. સાબરકાંઠા ચૂંટણી વિભાગ પાસેથી મળેલ માહિતી મુજબ, 4 નવેમ્બરથી 23 નવેમ્બર સુધીમાં SIR હેઠળ મતદાર યાદી સુધારણા કાર્યક્રમની જિલ્લામાં 63 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. વિધાનસભાવાર આંકડા જોઈએ તો, હિંમતનગરમાં 61 ટકા, ઇડરમાં 68 ટકા, ખેડબ્રહ્મામાં 59 ટકા અને પ્રાંતિજ વિધાનસભામાં 64 ટકા કામગીરી પૂર્ણ થઈ છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 5:49 pm

રાજકોટમાં વૃક્ષોનો વૈજ્ઞાનિક સર્વે કરાશે, 65 લાખનું ટેન્ડર:વૃક્ષોના થડ અને ઉંચાઈ આધારે તેનું આયુષ્ય નક્કી થશે, વૃક્ષોનું જીઓ ટેગિંગ કરાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પહેલીવાર શહેરભરમાં પથરાયેલા વૃક્ષોનું આયુષ્ય વૈજ્ઞાનિક ઢબે નક્કી કરવા માટે એક મોટો સર્વે હાથ ધરવામાં આવનાર છે. મહાનગરપાલિકાએ આ સર્વે અને જીઓ ટેગિંગ માટે અંદાજે રૂ. 65 લાખના ખર્ચ સાથેનું ટેન્ડર બહાર પાડ્યું છે, જે શહેરના પર્યાવરણને વધુ હરિયાળું અને સુરક્ષિત બનાવવામાં મદદરૂપ થવાનો દાવો કરાયો છે. આ સર્વેમાં RMC હસ્તકના બાગ-બગીચાઓ, અર્બન ફોરેસ્ટ, સરકારી, ખાનગી અને ટ્રસ્ટની માલિકીની મિલકતો તેમજ જાહેર માર્ગો અને વ્યક્તિગત માલિકીના વૃક્ષો સહિતના તમામ સ્થળોને આવરી લેવામાં આવશે. સર્વેમાં 5 વર્ષથી વધુ આયુષ્ય ધરાવતા વૃક્ષોનો સમાવેશઆ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય વૃક્ષોના થડની જાડાઈ અને ઊંચાઈના આધારે તેમનું આયુષ્ય નક્કી કરવાનો છે. વૃક્ષ નિષ્ણાતો અને પર્યાવરણના જાણકારોની મદદથી આ સર્વે કરવામાં આવશે. સર્વેમાં 5 વર્ષથી માંડીને 50 વર્ષથી વધુ આયુષ્ય ધરાવતા વૃક્ષોનો સમાવેશ કરવામાં આવશે. સર્વેક્ષણની પદ્ધતિ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક અને ટેકનોલોજી આધારિત હશે. દરેક ઝોનમાં વોર્ડવાઇઝ અલગ-અલગ સ્થળોએ સર્વે કરીને વૃક્ષોનું જીઓ ટેગિંગ કરવામાં આવશે. વૃક્ષાના ફોટોગ્રાફિક સહિતના પુરાવા સોફ્ટવેરમાં અપલોડ કરાશેઆ પ્રક્રિયા દરમિયાન, દરેક વ્યક્તિગત વૃક્ષ અને લીલી જગ્યાને મોબાઈલ એપ્લિકેશન અને GIS-આધારિત સોફ્ટવેર (જે RMC દ્વારા વિકસાવવામાં આવનાર છે) દ્વારા જીઓ-ટેગ કરવામાં આવશે. ટીમોમાં નિષ્ણાતો દ્વારા વૃક્ષોની ઓળખ, તેમની ઊંચાઈ, સ્વાસ્થ્યલક્ષી મૂલ્યાંકન અને આધુનિક સર્વેક્ષણ સાધનોનો ઉપયોગ કરાશે. ડેટા ડિજિટલ સ્વરૂપમાં સાઇટ પર એપ્લિકેશનમાં દાખલ કરવામાં આવશે અને ફોટોગ્રાફિક પુરાવા સાથે સોફ્ટવેરમાં અપલોડ કરવામાં આવશે. શહેરને હરિયાળું બનાવવા એજન્સીઓને સૂચનો આપવાના રહેશેત્યારબાદ, આ એકત્રિત ડેટાના આધારે ઝોનવાર અને વોર્ડવાર વિગતવાર અહેવાલો નકશા, ગ્રાફ, કોષ્ટકો અને તુલનાત્મક વિશ્લેષણ સાથે તૈયાર કરવામાં આવશે. આ ડેટા શહેરના વૃક્ષો અને લીલીછમ જગ્યાઓ વિશે સચોટ અને અપડેટેડ માહિતી પૂરી પાડશે, જેના માટે નિયમિત નિરીક્ષણ અને ગુણવત્તા નિયંત્રણની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. એજન્સીઓએ વૃક્ષોની ગણતરી અને વિગતવાર અહેવાલ સાથે શહેરને વધુ હરિયાળું બનાવા માટે સરળ સૂચનો પણ આપવાના રહેશે. શહેરમાં વૃક્ષોની સંખ્યા 3 લાખથી પણ વધુRMCના અંદાજ મુજબ, મહાનગરપાલિકા વિસ્તારોમાં વ્યક્તિગત વૃક્ષોની સંખ્યા અંદાજે 300,000 જેટલી છે. ઉપરાંત, મહાનગરપાલિકાના અલગ-અલગ વિસ્તારો, જમીન-મિલકત ભોગવટાના નજીકના વિસ્તારોમાં જ્યાં લીલોતરી વધુ છે, તેવી જગ્યાઓનું ક્ષેત્રફળ આશરે 27,00,000 ચોરસ મીટર હોવાનો અંદાજ છે. સર્વેમાં વિવિધ પ્રકારના વૃક્ષોનો સમાવેશ કરાશે, જેમાં પીલખન, કરંજ, બોરસલી, આસોપાલવ, અરડુસો, લીમડો, વડ, બેન્જામીન, પારસ પીપળો, કદંબ, ગરમાળો, પીપળો, બોટલ બ્રશ, રેઈન ટ્રી, સપ્તપર્ણી, જાંબુ, ચંપો, ગુંદા, ગુલમહોર, લીંબુ, અરીઠા, સરગવો, પામ ટ્રી, આંબો, સવન, પારિજાત, બિલ્વવૃક્ષ અને કોનોકાર્પસ જેવા અન્ય પ્રકારના વૃક્ષોનો સમાવેશ થાય છે. વૃક્ષોની ખોટી ઓળખ બદલ દંડ ફટકારાશેઉલ્લેખનીય છે કે, કામગીરી દરમિયાન વૃક્ષ જે વૃક્ષોનું નિરીક્ષણ થયું છે તેને ચોક્કસ કોડ, રંગ, ડિઝાઇન અથવા પ્રતીકથી ચિહ્નિત કરવામાં આવશે, જેના માટે માત્ર પર્યાવરણને અનુકૂળ અને બિન-ઝેરી રંગોનો ઉપયોગ કરાશે. સૌથી અગત્યની બાબત એ છે કે, ખોટી રીતે ગણતરી કરવા કે વૃક્ષોની ખોટી ઓળખ કરવા બદલ પ્રતિ વૃક્ષ રૂ. 50થી 100 દંડ ફટકારવાની જોગવાઈ પણ રાખવામાં આવી છે. આ પગલું સર્વેની વિશ્વસનીયતા જાળવવા માટે લેવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 5:28 pm

તિલકવાડા રેલવે સ્ટેશન નજીક કરંટ લાગવાથી 2 યુવકોના મોત:અંડરગ્રાઉન્ડ કામગીરી દરમિયાન જમીનની અંદર રહેલા વીજ વાયરના સંપર્કમાં આવી ગયા, બંને મૃતકો દાહોદ જિલ્લાના

નર્મદા જિલ્લાના તિલકવાડા રેલવે સ્ટેશન નજીક આજે એક અત્યંત કરૂણ ઘટના બની છે, જેમાં અંડરગ્રાઉન્ડ કામગીરી દરમિયાન વીજ કરંટ લાગવાથી બે યુવકોના મોત થયા છે. મૃતકો દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના રહેવાસીમૃતક યુવકોની ઓળખ વિજય બાબુભાઈ મેળા અને ગોવિંદ મનુભાઈ ડામોર તરીકે થઈ છે. આ બન્ને યુવાનોની ઉંમર અંદાજિત 25 થી 30 વર્ષની હતી અને તેઓ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના રહેવાસી હોવાનું જાણવા મળેલ છે. જમીનની અંદર રહેલા વીજ વાયરના સંપર્કમાં આવી ગયાપ્રાથમિક માહિતી મુજબ, અંડરગ્રાઉન્ડ કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન જમીનની અંદર રહેલા વીજ વાયરના સંપર્કમાં આવી જવાથી આ કરૂણ ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ તિલકવાડા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યાબન્ને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે તિલકવાડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દુઃખદ ઘટનાને પગલે મૃતકોના પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયો છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 5:24 pm

વેપારીએ ધંધામાં મદદના નામે ચૂનો લગાવ્યો:બેંકમાં સારું સેટિંગ છે કહીને લોકોના ડોક્યુમેન્ટ મેળવી પર્સનલ લોનના નામે લાખો કરોડો રૂપિયા લઇ ફરાર

લોકોના આધારકાર્ડ અને પાનકાર્ડ જેવા ડોક્યુમેન્ટ મેળવીને કરોડો રૂપિયાની પર્સનલ લોનના નામે પૈસા લઈ છેતરપિંડી કરવામાં આવી હોવા અંગેની ફરિયાદ અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધવામાં આવી છે. નોકરિયાત અને વેપારી લોકોને પોતાની વેપારીની ઓળખ આપીને બેંકમાં સારું સેટિંગ છે, પર્સનલ લોન કરાવી લાખો કરોડો રૂપિયાની લોન લેવામાં આવતી હતી. જે બાદ થોડો સમય હપ્તા ભરી અને ત્યારબાદ પૈસા આપવામાં આવતા નહોતા. અનેક લોકો સાથે આ રીતે છેતરપિંડી કરી ઘર તેમજ ઓફિસ બંધ કરી ફરાર થઈ જતા યુવક વિરુદ્ધ આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાતા પોલીસે નિકોલના વિશાલ વોરા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીએ પોતાની ઓળખ વેપારી તરીકે આપી હતીનિકોલ વિસ્તારમાં આવેલા શ્રીનંદ ઇલાઇટમાં રહેતા અને ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ કંપનીમાં નોકરી કરતા મેહુલ સતાસિયાના ફ્લેટમાં વિશાલ વોરા નામનો વ્યક્તિ રહેતો હતો. પોતે વેપારી તરીકેની ઓળખ આપી હતી અને ફ્લેટમાં જ રહેતો હોવાથી મેહુલભાઈ તેમને ઓળખતા હતા. ઓગસ્ટ, 2024માં વિશાલે મેહુલભાઈને કહ્યું હતું કે, મારે ધંધામાં એક કરોડ રૂપિયાની જરૂરિયાત છે, જેથી તમે મદદ કરો. પરંતુ મેહુલભાઈએ કહ્યું હતું કે, મારી પાસે આટલા પૈસા નથી, જેથી વિશાલે ફરીથી તેમને કહ્યું હતું કે, મારુ બેંકોમાં સેટિંગ છે. તમારા ડોક્યુમેન્ટ આપો તો તમારા નામે પર્સનલ લોન લઈ લઉં અને લોનના હપ્તાહ હું ભરીશ. જે પણ ભવિષ્યમાં ધંધો થશે, તેના નફાના 50 ટકા આપણે વહેંચી લઈશું તેવી વાત કરી હતી. લોનના હપ્તા પણ પોતે ભરશે એવી વાત કરીને મેહુલભાઈને વિશ્વાસમાં લઈ લીધા હતા. સાત બેંકમાં ડોક્યુમેન્ટ આપી 52 લાખની લોન લીધીમેહુલભાઈએ તેમના પાનકાર્ડ આધારકાર્ડ લાઈટ બિલ અને રહેણાંકના પુરાવાઓ વિશાલને આપ્યા હતાં, જે તેમણે લોનના એજન્ટ રાહુલ શર્માને આપ્યા હતા. Hdfc, icici અને બંધન બેંક જેવી કુલ અલગ-અલગ સાત જેટલી બેંકોમાં ડોક્યુમેન્ટ આપ્યા હતાં અને તેમાંથી વેરિફિકેશન થયું હતું. તમામ બેંકોમાંથી કુલ 52 લાખ જેટલી લોન મંજૂર થઈ હતી, જે મેહુલભાઈના બેંક એકાઉન્ટમાં જમા થયા હતાં. ત્યારબાદ અલગ-અલગ ફોર્મ અને બેંક એકાઉન્ટમાં પૈસા વિશાલભાઈ ટ્રાન્સફર કરવાનું કહેતા તે પૈસા ટ્રાન્સફર કર્યા હતા. જે પૈસા ટ્રાન્સફર કર્યા બાદ હપ્તો ભરવાનો આવ્યો હતો, જેમાં અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી કુલ 7.79 લાખ રૂપિયા વિશાલભાઈએ હપ્તા પેટે આપ્યા હતા. લોનના હત્પા ન ભરતા છેતરપિંડીની ફરિયાદઓગસ્ટ, 2025માં છેલ્લે હપ્તો આપવામાં આવ્યો નહોતો, જેથી તેના ડ્રાઇવરને પૂછતા વિશાલભાઈને ઘણા બધા લોકો પૈસા માંગતા હતાં, જેથી બહારગામ ગયા હોવાનું જણાવ્યું હતું. જે બાદ તપાસ કરતા અલગ-અલગ લોકો પાસેથી લાખો કરોડો રૂપિયાની લોન પર્સનલ નામે ધંધામાં આર્થિક મદદના નામે વિશાલ વોરાએ મેળવી લીધી હતી. બાદમાં કોઈપણ પ્રકારના લોનના હપ્તા ભરવામાં આવ્યા નહોતા. જેને લઈને આ છેતરપિંડી કરવામાં આવતા આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિશાલ વોરા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 5:16 pm

બ્રહ્માકુમારીના 60 વર્ષની ઉજવણીના ભાગરૂપે શહેરમાં આજે શાંતિ પદયાત્રા યોજાઈ:જેલ રોડ સ્થિતિ બ્રહ્માકુમારીઝ પીસ પેલેસથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી

મહેસાણામાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલયના ગુજરાત ઝોન દ્વારા સેવા કાર્યના 60 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વર્ષ 2025 હીરક જયંતિ રૂપે ઉજવાઈ રહ્યું છે. આ અંતર્ગત બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ હેઠળ મહેસાણા શહેરમાં આજે વિશેષ શાંતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શાંતિના સંદેશ સાથે પદયાત્રા યોજાઈઆ પદયાત્રામાં બ્રહ્માકુમારીઝના શ્વેત વસ્ત્રધારી રાજયોગી ભાઈ-બહેનો સામેલ શાંતિના સંદેશનો પ્રસાર કર્યો હતો.જે મૌન સાધના સાથે શાંતિને આત્માનો સ્વધર્મ અને માનવ સમાજની સર્વોત્તમ સંસ્કૃતિ ગણાવતા સંસ્થા અનુસાર આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ દરેક વ્યક્તિને શાંતિ તરફ પ્રેરિત કરવાનું છે. શાંતિયાત્રાનો મુખ્ય ઉદ્દેશ બ્રહ્માકુમારીઝ પીસ પેલેસથી પરત પેલેસ ફરી આ પદયાત્રા આજે સવારે 7 કલાકે જેલ રોડ સ્થિતિ બ્રહ્માકુમારીઝ પીસ પેલેસથી પ્રસ્થાન કરી દૂધ સાગર ડેરી, રાધનપુર ચોકડી, અમદાવાદ હાઈવેથી મોઢેરા ચોકડી, એસટી વર્કશોપ રોડ, ભમ્મરિયા નાળા, કૃષ્ણનો ઢાળ, તોરણવાળી માતાનો ચોક, ગોપીનાળા થઈને સવારે 8 કલાકે બ્રહ્માકુમારીઝ પીસ પેલેસ ખાતે પરત ફરી હતી.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:54 pm

એરફોર્સમાંથી નિવૃત વૃદ્ધ સાયબર ફ્રોડનો શિકાર બન્યા:2.81 લાખ જાણ બહાર ઠગે ટ્રાન્સફર કરી લીધા, મકાનના વીજ બિલ માટે ગૂગલ પે કરતા ફ્રોડ થયાની જાણ થઈ

શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતા અને એરફોર્સમાંથી નિવૃત થયેલા 83 વર્ષીય વૃદ્ધ સાયબર ફ્રોડનો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે. વૃદ્ધ એરફોર્સમાંથી નિવૃત થતા પેન્શન આવી હતી તે SBI બેંકના ખાતામાં રાખી હતી. તેમજ એફ.ડી અને અન્ય સેવિંગના રૂપિયા પણ બે અલગ અલગ એકાઉન્ટમાં રાખવામાં આવ્યા હતા. સાયબર ઠગિયાએ વૃદ્ધની જાણ બહાર 2.81 લાખ ટ્રાન્સફર કરી દીધા હતા. વૃદ્ધે જ્યારે મકાનનું વીજ બિલ ભરવા માટે ગુગલ પે પર ખાતામાં બેલેન્સ ના હોવાનું સામે આવ્યું હતું. જેથી વૃદ્ધે સાયબર હેલ્પલાઇન નંબર પર અને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એરફોર્સમાંથી નિવૃત વૃદ્ધ સાયબર ફ્રોડનો શિકાર બન્યા83 વર્ષીય વૃદ્ધ એરફોર્સમાંથી નિવૃત થયા છે, જે પરિવાર સાથે વેજલપુર વિસ્તારમાં રહે છે. એરફોર્સમાંથી નિવૃત્ત થયા હોવાથી ટેન્શન મળે છે જે SBI ના બેંક ખાતામાં જમા થતું હોય છે. તેમજ આ સિવાય વૃદ્ધે એફ.ડી અને અન્ય સેવિંગના રૂપિયા અલગ અલગ ખાતામાં રાખ્યા હતા. થોડા દિવસ પહેલા મકાનનું વીજ બિલ આવ્યું હોવાથી ઓનલાઈન ભરવા માટે ગુગલ પે ખોલ્યું હતું. ગૂગલ પેથી બિલની ચૂકવણી કરતા ખાતામાં પૂરતું બેલેન્સ ના હોવાનું નોટિફિકેશન આવ્યું હતું. જેથી વૃદ્ધ ચોંકી ગયા હતા અને દીકરાને બેંક એકાઉન્ટ ચેક કરવા માટે કહ્યું હતું. દીકરાએ બેંક એકાઉન્ટ ચેક કરતા પંજાબ નેશનલ બેંક એકાઉન્ટમાં માત્ર 600 રૂપિયા જ બતાવતા હતા. ગૂગલ પે કરતા સાયબર ફ્રોડ થયું હોવાનું સામે આવ્યુંજે બાદ પંજાબ નેશનલ બેંકનું અન્ય એકાઉન્ટ ચેક કરતા જેમાં 26 હજાર બેલેન્સ બતાવતું હતું. બંને બેંક એકાઉન્ટમાં 3 લાખ જેટલું બેલેન્સ હતું અને અચાનક પૈસા ગાયબ થઈ ગયા હતા. જે બાદ પંજાબ નેશનલ બેંકના ATMમાં મિનિસ્ટ સ્ટેટમેન્ટ ચેક કરતા યુપીઆઈ એપથી નાની રકમની જ ચૂકવણી થઈ હોવાનું જોવા મળ્યું હતું. 2.81 લાખ જાણ બહાર ઠગે ટ્રાન્સફર કરી લીધાજેથી વૃદ્ધના દીકરાએ ઓનલાઈન નેટ બેન્કિંગથી પંજાબ નેશનલ બેંકના છેલ્લા ત્રણ મહિનાના બંને ખાતાના સ્ટેટમેન્ટ ડાઉનલોડ કર્યા હતા. જેમાં 24 ઓક્ટોબરથી 28 ઓક્ટોબર સુધીમાં 5 જેટલા ટ્રાન્જેક્શનથી 2.81 લાખ રૂપિયા જેટલી રકમ કપાઈ ગઈ હોવાનું જોવા મળ્યું હતું. તેમજ રૂપિયા ટ્રાન્જેક્શનના કોઈપણ મેસેજ પણ મળ્યા નહોતા. અજાણ્યા સાયબર ગઠિયા સામે ફરિયાદ નોંધાઈઆટલી મોટી રકમ જાણ બહાર ટ્રાન્સફર થઈ જતા વૃદ્ધે સાયબર હેલ્પલાઇન નંબર પર ફરિયાદ નોંધાવી છે. તેમજ અજાણ્યા સાયબર ગઠિયા સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:49 pm

ગોધરામાં ₹8.60 કરોડના રસ્તા કામોનું ખાતમુહૂર્ત:ધારાસભ્ય સી.કે. રાઉલજીએ પૂર્વ-પશ્ચિમના ગામોને જોડતા રસ્તાઓનું ભૂમિપૂજન કર્યું

ગોધરા તાલુકામાં ધારાસભ્ય સી.કે. રાઉલજીના હસ્તે કુલ 8.60 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ નવા રસ્તાઓ ગ્રામીણ વિસ્તારોમાં આંતરિક કનેક્ટિવિટી સુદ્રઢ બનાવશે, જેનાથી ખેડૂતો અને ગ્રામજનોને અવરજવરમાં સુવિધા મળશે. ધારાસભ્ય સી.કે. રાઉલજીની ભલામણને પગલે ગોધરા તાલુકાના પશ્ચિમ વિસ્તારના ગામો માટે મહત્વના રસ્તાઓ મંજૂર થયા છે. જેમાં ખાસ કરીને 3.60 કરોડ રૂપિયાના ખર્ચે બે મુખ્ય રસ્તાઓ બનશે. આમાં સામલી મુખ્ય રોડથી ઉગમના મુવાડા, દારૂનિયા થઈ સામલી ગામને જોડતો અંદાજિત 260 લાખ રૂપિયાનો રસ્તો અને 100 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર રામપુરા ડુંગરીથી પાણકિયા મુવાડી સુધીના રસ્તાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અન્ય 500 લાખ રૂપિયાના ખર્ચે મંજૂર થયેલા રસ્તાઓમાં નાકરેજી વાઘેશ્વરી મંદિરથી ડાભીયા પૂરા અમરેશ્વર તળાવને જોડતો રસ્તો, સાંપા માલગુણથી દેસાઈ આંટા સુધીનો રસ્તો, કોટડા બસ સ્ટેન્ડથી ટેકરા ફળિયા થઈ બાયપાસ સુધીનો રસ્તો તેમજ બખ્ખર ઓરવાડા પાક રોડ બસ સ્ટેન્ડથી વણઝારા ફળિયા થઈ ખેડમાતા સુધીના રસ્તાઓના કામોનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે. આ નવા રસ્તાઓ પૂર્ણ થવાથી ગ્રામજનોને આંતરિક મુસાફરીમાં સરળતા રહેશે. મુખ્ય રસ્તાઓ સાથે સીધું જોડાણ મળવાથી ખેતીના કામો અને પરિવહનમાં પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ થશે, જેનાથી ગ્રામીણ અર્થતંત્રને પણ વેગ મળશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય વિનોદ ભગોરા, તાલુકા પંચાયત પ્રમુખ રંજનબેન રાઠોડ, ભાજપ તાલુકા પ્રમુખ સંજય પટેલ, મહામંત્રી રામ ગઢવી, કિસાન મોરચા પ્રમુખ ખુમાનસિંહ ચૌહાણ, એસ.સી. મોરચા પ્રમુખ નારણ પરમાર, ખેડૂત અને સહકારી આગેવાન કનકસિંહ પરમાર તથા રાજુ ચૌહાણ સહિત સ્થાનિક તાલુકા સદસ્યો, સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:45 pm

વલસાડના BLO દ્વારા 100 ડિજિટાઈઝેશન કામગીરી પૂર્ણ:પ્રાંત અધિકારીએ અસ્મિતાબેન પટેલનું સન્માન કર્યું

વલસાડ તાલુકામાં SIRની કામગીરી દરમિયાન એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. વલસાડ વિધાનસભા મતવિસ્તાર-179ના ભાગ નંબર 70, ઘડોઈ બુથ નંબર 2 પર ફરજ બજાવતા બુથ લેવલ અધિકારી (BLO) અસ્મિતાબેન પટેલે SIRના ફોર્મનું 100 ટકા ડિજિટાઈઝેશન નિર્ધારિત સમયમર્યાદા પહેલાં પૂર્ણ કર્યું છે. આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ વલસાડની મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી વિમલભાઈ પટેલના હસ્તે અસ્મિતાબેન પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રાંત અધિકારી વિમલભાઈએ અસ્મિતાબેનની સમયસર, જવાબદારીપૂર્વક અને કુશળતાપૂર્વક પૂર્ણ કરેલી કામગીરીને બિરદાવી હતી. તેમણે આ કાર્યને પ્રશંસનીય ગણાવ્યું હતું. સરકારી યોજનાઓમાં ડિજિટલ પ્રક્રિયાને વેગ આપવા માટે BLO દ્વારા કરાયેલ આ કામગીરી અન્ય લોકો માટે પણ પ્રેરણાદાયક બની રહેશે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:36 pm

પારડીમાં આયુષ મેળો અને મેગા કેમ્પ યોજાયો:નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં કાર્યક્રમ સંપન્ન

વલસાડ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા રવિવારે પારડીના ધીરૂભાઈ નાયક હોલ ખાતે આયુષ મેળો અને મેગા કેમ્પ યોજાયો હતો. રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ લોકોને આયુર્વેદ અપનાવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન આરોગ્ય સેવાઓ ઘરઆંગણે પહોંચાડવા પ્રયાસો કર્યા હતા. આજે 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેનાથી લોકોમાં આરોગ્ય જાગૃતિ વધી રહી છે. જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલે પ્રાકૃતિક ખેતી અને આયુર્વેદ અપનાવવાથી તંદુરસ્તી જળવાઈ રહે છે તેમ જણાવ્યું હતું. જિલ્લા આયુર્વેદ અધિકારી ઉર્વીબેન પટેલે સ્વાગત પ્રવચનમાં આયુર્વેદ, હોમિયોપેથી અને જીવનશૈલી પરિવર્તનનું મહત્વ સમજાવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા આયુર્વેદ શાખાના મેડિકલ ઓફિસરોને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહેમાનોએ આયુર્વેદ પ્રદર્શન, વનસ્પતિ, ઔષધીય આહાર અને રંગોળી સહિતના સંગ્રહોની મુલાકાત લીધી હતી. બાળકોને સુવર્ણપ્રાશન પણ કરાવવામાં આવ્યું હતું. આયુર્વેદનો સંદેશ લોકો સુધી પહોંચે તે માટે મંત્રી કનુભાઈ દેસાઈએ આકાશમાં રંગીન ફુગ્ગા ઉડાડ્યા હતા. આયુષ મેળામાં ચામડી, સ્ત્રીરોગ, બાળરોગ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને થાઇરોઈડ સહિતની અનેક બિમારીઓની તપાસ અને સારવાર નિષ્ણાત ડોકટરો દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં VIA પ્રમુખ સતીશ પટેલ સહિત અનેક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:33 pm

60 ફૂટ ઊંચા ઓવરબ્રિજથી પટકાતા કાફે માલિકનું મોત:સુરતના અણુવ્રતદ્વાર બ્રિજ પરથી મહિલાનું OLA મોપેડ મળ્યું; અકસ્માત કે આપઘાતને લઈને રહસ્ય

સુરત શહેરમાં અણુવ્રતદ્વાર ઓવરબ્રિજ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 28 વર્ષીય એક મહિલાનો મૃતદેહ બ્રિજથી આશરે 60 ફૂટ નીચેથી મળી આવ્યો છે. ઘટનાસ્થળે બ્રિજ પરથી એક OLA મોપેડ પણ મળી આવતાં, મહિલાએ આત્મહત્યા કરી છે કે પછી કોઈ અકસ્માત સર્જાયો છે, તે અંગેનું રહસ્ય ઘેરું બન્યું છે. હાલમાં મહિલાના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે ઉંડાણપૂર્વક તસાપ શરૂ કરી છે. TRB જવાનને જાણ થતાં જ 108ને જાણ કરીપ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના અણુવ્રતદ્વાર વિસ્તાર પાસેના ઓવરબ્રિજ પરથી એક OLA મોપેડ મળી આવી હતી. જ્યારે બ્રિજથી 60 ફૂટ નીચે એક 28 વર્ષીય ઉષા જૈન નામની મહિલા ગંભીર હાલતમાં લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. અણુવ્રતદ્વાર પાસે ફરજ પર હાજર TRB (ટ્રાફિક બ્રિગેડ) જવાનની નજર આ ઘટના પર પડતાં તેણે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. TRB જવાનની મદદથી મહિલાને તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ મહિલાને મૃત જાહેર કરી હતી. મહિલા કેવી રીતે નીચે પટકાઈ તેને લઈ પોલીસની તપાસબ્રિજ પરથી OLA ગાડી મળી આવતાં ટ્રાફિક પોલીસે સૌપ્રથમ મહિલાના પર્સના ડોક્યુમેન્ટ આધારે ગાડીના પરિવારજનોને જાણ કરી હતી. જોકે, મહિલાનું મૃત્યુ કયા સંજોગોમાં થયું તે એક મોટો સવાલ છે. મૃતક મહિલા ઉષા જૈને બ્રિજ પરથી કૂદીને આત્મહત્યા કરી છે કેમ? અથવા ઓવરબ્રિજ પર કોઈ અકસ્માત સર્જાતા તે નીચે પટકાયા છે કે કેમ? આ બંને શક્યતાઓ અંગે હાલ કોઈ સ્પષ્ટતા નથી. ઘટનાની ગંભીરતા જોતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે OLA ગાડી અને અન્ય પુરાવાઓના આધારે વધુ તપાસ હાથ ધરી છે. મહિલાના મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. મૃતક મહિલા વેસુમાં કાફે ચલાવતા હતાંસિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે, 28 વર્ષીય ઉષા જૈનનું ઉપરથી નીચે પટકાવવાને લઈને માથામાં ગંભીર ઇજાઓથી મોત નીપજ્યું હતું. સુરતના વેસુ વિસ્તારમાં 28 વર્ષીય ઉષા હેમંતભાઈ જૈન પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં પતિ, દીકરો અને દીકરી છે. પતિ કાપડ માર્કેટમાં વેપારી તરીકે કામ કરે છે અને ઉષાબેન વેસુ વિસ્તારમાં જ કાફે ચલાવતા હતા. ઉષાબેનના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. આ સાથે તેમનું મોત કઈ રીતે થયું તેને લઈને પણ મૂંઝવણમાં છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:32 pm

પાટણમાં ચાલુ વર્ષે પ્રથમ પુરુષ નસબંધી કરાઈ:NSV પખવાડિયા અંતર્ગત પુરુષોને નસબંધી કરાવવા અપીલ

પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે પ્રથમ પુરુષ નસબંધી (NSV) ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. જિલ્લામાં પુરુષ નસબંધી પખવાડિયાની ઉજવણી ચાલી રહી છે, ત્યારે આ સિદ્ધિ નોંધાઈ છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ 21 નવેમ્બરથી 4 ડિસેમ્બર, 2025 દરમિયાન પુરુષ નસબંધી પખવાડિયાની ઉજવણી થઈ રહી છે. કુટુંબ નિયોજનમાં પુરુષોની ભાગીદારી વધારવા માટે આ પખવાડિયાનું આયોજન કરાયું છે. નોંધનીય છે કે ચાલુ વર્ષે પાટણ જિલ્લામાં અત્યાર સુધી એક પણ પુરુષ નસબંધીનો કેસ નોંધાયો ન હતો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-રણુંજ, સબસેન્ટર-ખીમીયાણા, તાલુકો-પાટણ ખાતે ફરજ બજાવતા આરોગ્ય કર્મચારી દિલીપભાઈ ચૌધરીએ એક લાયક દંપતીને પુરુષ નસબંધી ઓપરેશન કરાવવા માટે સમજાવ્યા હતા. આ દંપતીએ ધારપુર મેડિકલ કોલેજ ખાતે સફળતાપૂર્વક NSV ઓપરેશન કરાવીને સરાહનીય કામગીરી કરી છે. આ ઓપરેશન કરાવનાર લાભાર્થીને સરકાર દ્વારા ₹2000/- ની પ્રોત્સાહક રકમ ચૂકવવામાં આવે છે. પુરુષ નસબંધી માટે પુરુષની ઉંમર 22 થી 60 વર્ષની હોવી જોઈએ. દંપતીને એક કે તેથી વધુ બાળકો હોવા ફરજિયાત છે અને પત્નીની સંમતિ પણ જરૂરી છે. આ ઓપરેશનમાં કોઈ ટાંકા લેવામાં આવતા નથી અને દર્દીને તરત જ રજા આપવામાં આવે છે. ઓપરેશન પછી સાત દિવસ સુધી સાયકલ ચલાવવાની મનાઈ હોય છે. મહત્વનું છે કે આ ઓપરેશન કરાવ્યા બાદ પુરુષત્વ કે જાતીય ક્ષમતામાં કોઈ ફેર પડતો નથી. જરૂર જણાય તો આ ઓપરેશન ખોલાવી પણ શકાય છે. લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે અને પુરુષોની ભાગીદારી વધે તે માટે આરોગ્ય તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. કોઈપણ લાભાર્થીને પુરુષ નસબંધી ઓપરેશન અંગે માહિતી જોઈતી હોય તો નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:32 pm

8 વર્ષથી ફરાર બળાત્કાર-અપહરણનો આરોપી પકડાયો:ભરૂચ પેરોલ-ફર્લો સ્ક્વોડે અજમેરથી ઝડપ્યો

ભરૂચ પેરોલ-ફર્લો સ્ક્વોડે બળાત્કાર અને અપહરણના ગુનામાં છેલ્લા આઠ વર્ષથી ફરાર આરોપીને રાજસ્થાનના અજમેર બસ સ્ટેન્ડ પરથી ઝડપી પાડ્યો છે. આરોપી સજા ભોગવી રહ્યો હતો અને પેરોલ જમ્પ કરીને ભાગી ગયો હતો. યુનુશ અલી ઉસ્માનગની વ્હોરા (રહે. ઘાસમંડાઈ, મુલ્તાનીવાડ, ભરૂચ) ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં દોષિત હતો. અમદાવાદની અધિક સત્ર ન્યાયાલય, કોર્ટ નં. 15 દ્વારા તેને 29 સપ્ટેમ્બર, 2014ના રોજ સાત વર્ષની સખ્ત કેદની સજા ફટકારવામાં આવી હતી. તે અમદાવાદ મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યો હતો. આરોપી 31 ઓગસ્ટ, 2017 થી 11 સપ્ટેમ્બર, 2017 સુધી 10 દિવસની પેરોલ રજા પર છૂટ્યો હતો. જોકે, પેરોલ અવધિ પૂરી થયા બાદ તે જેલમાં હાજર ન થઈને ફરાર થઈ ગયો હતો. તેના વિરુદ્ધ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રિઝન એક્ટ 51(એ)(બી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ સબ-ઇન્સ્પેક્ટર આર.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ-ફર્લો સ્ક્વોડની ટીમ આરોપીની શોધખોળ કરી રહી હતી. એ.એસ.આઈ. મગન દોલાભાઈને મળેલી બાતમીના આધારે જાણવા મળ્યું કે આરોપી રાજસ્થાન આવી રહ્યો છે. આ માહિતીના આધારે, ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને અજમેર બસ સ્ટેન્ડ પર સફળતાપૂર્વક કોર્ડન ગોઠવી આરોપીને પકડી પાડ્યો. આરોપીને BNSS કલમ 35(1)(J) મુજબ અટક કરીને આગળની કાર્યવાહી માટે ભરૂચ શહેર બી વિભાગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:31 pm

વલસાડ S.O.G.એ ભીલાડમાંથી ગાંજો ઝડપ્યો:દોઢ લાખથી વધુનો જથ્થો જપ્ત, બે આરોપીઓની ધરપકડ

વલસાડ S.P. યુવરાજસિંહ જાડેજાના આદેશ બાદ S.O.G. ટીમે નશાના નેટવર્ક પર કાર્યવાહી કરી છે. ભીલાડના બોરીગામ વિસ્તારમાં ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી ગેરકાયદેસર ગાંજાના વેચાણનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે રૂ. 1.91 લાખથી વધુનો ગાંજો જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે સ્થળ પરથી ભાવેશભાઈ રામુભાઈ ધોડી (ઉં.વ. 25) અને સુરજ રાધેશ્યામ કનોજીયા (ઉં.વ. 21) નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 3.835 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે, જેની બજાર કિંમત રૂ. 1,91,750/- આંકવામાં આવી છે. ગાંજા ઉપરાંત, પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ. 21,200/- અને ત્રણ મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા હતા. આ તમામ મુદ્દામાલનું કુલ મૂલ્ય રૂ. 2,33,250/- થાય છે. S.O.G. પી.આઇ. એ.યુ. રોઝ અને તેમની ટીમે બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ 1985ની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ પોલીસે નશાખોરી સામેની લડાઈમાં આ સફળતા મેળવી છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:30 pm

સુરેન્દ્રનગર SOGએ ગેરકાયદેસર બંદૂક સાથે એક ઝડપ્યો:ખાખરાળી ગામના ખેડૂત પાસેથી દેશી બનાવટની મઝલલોડ બંદૂક જપ્ત

સુરેન્દ્રનગર SOGએ થાનગઢ તાલુકાના ખાખરાળી ગામેથી એક ઈસમને ગેરકાયદેસર દેશી બનાવટની બંદૂક સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી રૂ. ૩,૦૦૦ની કિંમતની મઝલલોડ બંદૂક જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા જિલ્લામાં હથિયારધારાના ગુનાઓ શોધી કાઢવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે SOG સ્ટાફ કાર્યરત હતો. SOG સ્ટાફ થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન મીતભાઈ દિલીપભાઈને ખાનગી બાતમી મળી હતી કે, ખાખરાળી ગામનો નવઘણભાઈ લાલજીભાઈ કણસાગરા નામનો ઈસમ ગેરકાયદેસર હથિયાર ધરાવે છે અને તેણે તે હથિયાર પોતાના ખેતરની ઓરડી પાસે રાખેલું છે. આ બાતમીના આધારે પોલીસે તપાસ કરતા નવઘણભાઈ લાલજીભાઈ કણસાગરા (ઉં.વ. 27, ધંધો: ખેતી, રહે. ખાખરાળી, તા. થાનગઢ, જિ. સુરેન્દ્રનગર)ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી લાયસન્સ કે આધાર પુરાવા વગરની એક દેશી હાથ બનાવટની સિંગલ બેરલ મઝલલોડ બંદૂક (કિંમત રૂ. 3,000) મળી આવી હતી. આ મામલે થાનગઢ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ 25(1)(1-બી)(એ) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કામગીરીમાં PI બી.એચ. શીંગરખીયા, PSI એન.એ. રાયમા, PSI આર.જે. ગોહિલ, ઝાલા, HC અનિરુદ્ધસિંહ અભેસંગભા, PC અનિરુદ્ધસિંહ ભરતસિંહ, PC મીતભાઈ દિલીપભાઈ અને PC નીતિનભાઈ ગોહિલ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:29 pm

અક્ષર ફાર્મમાં ભવ્ય-દિવ્ય નગરનું ઉદ્ઘાટન થયું:વોટર-ઇમર્સિવ શો આકર્ષણનું કેન્દ્ર બન્યા

આણંદ BAPS સ્વામિનારાયણ મંદિરના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આણંદ મંદિર રજત જયંતિ મહોત્સવનો પ્રારંભ થયો છે. આ ઉપક્રમે અક્ષર ફાર્મમાં ભવ્ય નગરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ 23 થી 28 નવેમ્બર સુધી ચાલશે. આ નગરમાં આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને પારિવારિક મૂલ્યોને ઉજાગર કરતા વિવિધ શો જોવા મળશે. તેમાં વ્યસનમુક્તિ પ્રદર્શન, બાળ નગરી, બાળકોની કુટેવ-સુટેવની પ્રસ્તુતિ અને મોબાઈલની માયાજાળમાંથી મુક્તિની પ્રેરણા આપતો પિંજર સંવાદનો સમાવેશ થાય છે. મહોત્સવમાં વોટર શો અને ઇમર્સિવ શો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ કાર્યક્રમોનો લાભ દરરોજ સવારે 9 થી 4 અને સાંજે 5 થી 9 દરમિયાન લઈ શકાશે. શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને પરિવારો માટે આ એક અમૂલ્ય અવસર છે. આ ઉપરાંત, દરરોજ સાંજે 5:30 થી 8 દરમિયાન પ્રેરક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કોઠારી પૂજ્ય યજ્ઞસેતુ સ્વામીએ સૌને આ કાર્યક્રમોનો લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:28 pm

'અહિં પાણી નથી મળતું પણ દારૂ જોઈએ એટલો મળે છે':અમિત ચાવડાએ કહ્યું- 'સરકારી કચેરીમાં દક્ષિણા વગર કામ થતું નથી, પોલીસ માત્ર હપ્તા ઉઘરાવે છે તિજોરી ભરનારા ગાંધીનગરમાં બેઠા છે'

ગુજરાત કોંગ્રેસ દ્વારા ખેડૂતો અને લોકોની સમસ્યાઓને ઉજાગર કરવા માટે જન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા વાવ થરાદ જિલ્લાના ઢીમા ધરણીધરથી શરૂ થઈને ગતરોજ ઈકબાલગઢ પહોંચી હતી. જ્યાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપનું નામ લીધા વગર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, કોઈપણ સરકારી ઓફિસમાં 'દક્ષિણા' આપ્યા વગર કોઈ કામ થતું નથી અને જે હપ્તા ઉઘારવવામાં આવે છે તેની તિજોરી ભરનારા ગાંધીનગરમાં બેઠા છે'. 'આપણા મતથી સત્તા પર બેઠેલા આપણી વાત સાંભળતા નથી'ઈકબાલગઢમાં એક જાહેર સભાને સંબોધતા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આપણા મતથી સત્તા પર બેઠેલા કે આપણા પૈસે પગાર લેનારા પણ આપણી વાત સાંભળતા નથી. કોઈપણ ઓફિસમાં જાવ જ્યાં સુધી દક્ષિણા ન આપો ત્યાં સુધી કોઈ કામ થતું નથી. 'હપ્તો લેતી હોવાથી પોલીસને દારૂ ક્યા મળે છે તેની જાણ નથી'અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે, યાત્રા દરમિયાન એક ગામમાં મહિલાઓએ ફરિયાદ કરી હતી કે, અહિં પિવાનું પાણી નથી મળતું પરંતુ દારુ જોઈએ એટલો મળે છે. ચાવડાએ દાવો કર્યો કે, જ્યારે આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી ત્યારે પોલીસે દારૂ ક્યાં મળે છે તેની જાણ ન હોવાનું જણાવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો કે, પોલીસ હપ્તો લેતી હોવાથી તેમને ખબર નથી પડતી. 'તિજોરી ભરવાવાળા તો ગાંધીનગરમાં બેઠા છે'વધુમાં જણાવ્યું કે, એક પોલીસકર્મીએ તો કહ્યું હતું કે, તેઓ હપ્તો ઉઘરાવે છે, પરંતુ તે સીધો ગાંધીનગર જાય છે અને તેમના ભાગમાં બહુ ઓછું આવે છે. ગાંધીનગરવાળા જો ઈચ્છે તો આ બધુ બંધ થઈ જાય. પણ આ તો ઉઘરાવવા વાળા છે, તેની તિજોરી ભરવાવાળા તો ગાંધીનગરમાં બેઠા છે. અમિત ચાવડાએ કહ્યું કે, બીજા એક ગામમાં ગયા ત્યા ગરીબ લોકોએ કહ્યું કે, સાહેબ અમને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ મંજૂર કરાયું પણ તલાટીએ ફોર્મ મંજૂર કરવાના 10 હજાર લીધા હતા. આ અંગે 40 લોકોએ સહી કરીને એક વર્ષથી તેઓ ફરિયાદ કરે છે. કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પાલનપુરમાં પહોંચીઆગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ આ યાત્રા દ્વારા છેવાડાના લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. આ યાત્રા થરાદ, લાખણી, ધાનેરા, ઈકબાલગઢ થઈને આજે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પહોંચી હતી. ખેડૂતોને પડતી મુશ્કેલીઓ, મોંઘવારી અને ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ સાથે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અને સ્થાનિક નેતાઓ આ જન આક્રોશ યાત્રામાં જોડાયા હતા. પાલનપુરમાં અમિત ચાવડાના હસ્તે કોંગ્રેસના નવીન કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:27 pm

હિંમતનગર GMERS મેડિકલ કોલેજમાં કાનૂની જાગૃતિ શિબિર:પોલીસ અને DLSA દ્વારા વિદ્યાર્થીઓને કાયદાકીય માર્ગદર્શન

હિંમતનગર: સાબરકાંઠા પોલીસ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (DLSA)ના સંયુક્ત ઉપક્રમે હિંમતનગરની GMERS મેડિકલ કોલેજ ખાતે કાનૂની જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય GMERS મેડિકલ કોલેજના તબીબી વિદ્યાર્થીઓ, ઇન્ટર્ન અને ફેકલ્ટી સભ્યોમાં કાનૂની સાક્ષરતા ફેલાવવાનો હતો. આ કાર્યક્રમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ (IPS), પોલીસ અધિક્ષક, સાબરકાંઠા અને જિલ્લા જાગૃતિ યોજના સમિતિ (NALSA)ના સભ્ય, તેમજ સી.પી. ચારણ, જજ (સચિવ), DLSA, સાબરકાંઠાની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે કુલદીપ નાયી, નાયબ પોલીસ અધિક્ષક અને GMERS મેડિકલ કોલેજના ડીન પણ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા યુવા તબીબી વિદ્યાર્થીઓને તેમના કાનૂની અધિકારો, ફરજો, POCSO એક્ટ, સાયબર ક્રાઈમ અને નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ (NDPS) એક્ટ જેવા મહત્ત્વપૂર્ણ કાયદાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, NALSA હેઠળની યોજનાઓ અને મફત કાનૂની સહાયના અધિકાર વિશે પણ સંવાદ કરી જાગૃત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને મેડિકલ કોલેજના અધ્યાપકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સેમિનારે યુવા તબીબી વિદ્યાર્થીઓને કાનૂની જ્ઞાન, નિવારક જાગૃતિ અને ન્યાય મેળવવાની પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપી સશક્ત બનાવ્યા. આ કાર્યક્રમ સાબરકાંઠા જિલ્લામાં એક જાણકાર, જવાબદાર અને કાનૂની રીતે જાગૃત યુવા સમુદાયના નિર્માણ તરફનું એક મહત્ત્વપૂર્ણ પગલું છે. પોલીસ, ન્યાયતંત્ર અને તબીબી ક્ષેત્રના વિદ્યાર્થીઓ વચ્ચે કાયદા અને ન્યાય પ્રણાલી વિશે સફળ સંવાદ સંપન્ન થયો હતો.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:26 pm

રાજકોટમાં મોંઘીદાટ કાર આગમાં ખાખ:મવડીના ચામુંડાનગરમાં ભાડે લીધેલી કારના 2 શખ્સોએ કાચ ફોડ્યાના બીજા જ દિવસે આગ લાગી

રાજકોટના મવડી વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે ઘર પાસે રાખેલી ભાડાની મોંઘીદાટ કારમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી અને જોતજોતામાં કાર આગમાં ખાખ થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડનો સ્ટાફ ત્યાં પહોંચે તે પહેલા જ સ્થાનિકોએ આગ બુઝાવી નાખી હતી. જોકે આગ કયા કારણોથી લાગી અને કેટલું નુકશાન થયું તે હજુ જાણવા મળ્યું નથી. પરિવારજનોનો આક્ષેપ છે કે ભાડે લીધેલી વરના કાર ઘર પાસે રાખી હતી. શુક્રવારે 2 શખ્સો આવી કારના કાચ ફોડી ગયા હતા અને બાદમાં શનિવારે રાત્રે આ કાર આગમાં ખાખ થઈ ગઈ. જેથી આ આગ જાણીજોઈને કોઈએ લગાવી હોવાનો આક્ષેપ છે. રાજકોટના મવડી મેઈન રોડ ઉપર શાક માર્કેટ આગળ ખીજડાવાળા ચોક પાસે ચામુંડાનગર શેરી નંબર -1 માં ફોર વ્હીલર કારમાં આગ લાગતા મવડી ફાયર વિભાગમાં કોલ આવ્યો હતો. જેથી ફાયર બ્રિગેડની ગાડી સ્ટાફ સાથે ત્યાં પહોંચી ગઈ હતી જોકે ત્યાં સુધી પણ સ્થાનિકો દ્વારા કારમાં લાગેલી આગ બુઝાવી દેવામાં આવી હતી. જોકે આગનું કારણ જાણવા મળ્યું નથી. આ દરમિયાન પોલીસની 112 જનરક્ષક પણ ત્યાં પહોંચી ગઈ હતી. આગને કારણે કારમાં કેટલું નુકસાન થયું તે પણ હજુ જાણવા મળ્યું નથી. ચામુંડાનગરમાં ઘર પાસે જ પડેલી GJ 06 MD 9917 નંબરની કારમાં શનિવારે મોડી રાત્રે આગ ભભૂકી ઉઠતા ફરિયાદી જ્યોત્સનાબેન રાઠોડ સહિતના જાગી ગયા હતા અને ઘરમાંથી બહાર નીકળ્યા હતા. જોકે જોતજોતામાં પૂરી કાર સળગી ઉઠી હતી. જે અંગે ફાયર બ્રિગેડ વિભાગને કોલ કરવામાં આવતા રાત્રે 2.46 એ એક ફાયર ફાઇટર સાથે સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો જોકે ત્યાં સુધીમાં સ્થાનિકોએ આગ બુઝાવી નાખી હતી. પરિવારજનોનો આક્ષેપ છે કે, શુક્રવારે બે શખ્સો કારના કાચ તોડી નાસી ગયા હતા. બહારગામ જવા માટે જેમની પાસેથી કાર ભાડે લીધેલી હતી તેમની સાથે બંને શખ્સોને વાંધો હોવાથી તેમણે કાચ ફોડી નાખ્યા હતા અને શનિવારે રાત્રે અમે સુતા હતા ત્યારે અચાનક કારમાં આગ લાગી હતી અને કાર આગમાં ખાખ થઈ. માત્ર ખોખું જ રહ્યુ છે. જેથી કોઈએ આગ લગાવી છે. માલવિયા નગર પોલીસ મથકમાં આ અંગે જાણકારી છે પરંતુ હજુ સુધી ત્યાંથી કોઈ જવાબ આવ્યો નથી

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:23 pm

'છેતરપિંડીની અમુક રકમ ભાજપના પાર્ટી ફંડમાં ગઈ છે':4.28 કરોડના ફ્રોડમાં વેપારીનો જિલ્લા BJP પ્રમુખ સામે ગંભીર આક્ષેપો, ઢોલરિયાની માનહાનિનો દાવો કરવાની તૈયારી

રાજકોટના વેપારી સાથે જિલ્લા ભાજપ પ્રમુખ સહિત 5 શખ્સો દ્વારા શેર બજાર અને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે રૂ.4.28 કરોડની છેતરપિંડીની ઘટનામાં નવો ફણગો ફૂટ્યો છે. વેપારી દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા સામે ગંભીર આક્ષેપો કરાયા છે. જેમાં મધ્યસ્થી રહેલા હરી પટેલને અલ્પેશભાઈએ ભાજપ કાર્યાલયે બોલાવી બેઠક કરી ગર્ભિત ધમકીઓ આપી હતી તો અમુક રકમ ભાજપના પાર્ટી ફંડમાં ગઈ હોવાનું કહ્યું હતુ. જ્યારે ભાસ્કરે અલ્પેશ ઢોલરિયા સાથે ટેલિફોનિક સંપર્ક સાધતાં તેને કહ્યું કે, હું વેપારી સામે માનહાનીનો દાવો કરીશ. વેપારીનો જિલ્લા BJP પ્રમુખ સામે ગંભીર આક્ષેપોરાજકોટના મવડી મેઈન રોડ પર રહેતા વેપારી મહેશ હિરપરાએ જણાવ્યું હતું કે, મુંબઈમાં રહેતા હરિભગત અમારા પાર્ટનર છે અને મારા સાળાના રિલેશનમાં છે. મુંબઈમાં તેમનો મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ છે. ગત માર્ચ 2025માં અમારી પાસે એવી વાત આવે છે કે ફોરેનમાં પૈસાનું રોકાણ કરીને સારું એવું વળતર મેળવી શકાય તેમ છે. જે દસ દિવસમાં 10% નું વળતર મેળવી આપે છે. BKC બિલ્ડીંગના પાછળના ભાગમાં આ સમગ્ર વહીવટ થાય છે. દર્પણ બારસીયા દ્વારા આ વહીવટ ચલાવવામાં આવે છે. ફરિયાદમાં પરેશ ઢોલરીયાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે તે ફોરેનમાં રોકાણ કરાવનારી પાર્ટી છે. જેમાં રોકાણ માટે પૈસા આપ્યા બાદ પરત વળતર આવતું નથી. 'દર્પણ બારસીયા ત્યાં મારામારી કરે છે'વેપારીએ વધુમાં કહ્યું કે, જેથી ગૌતમ બારસીયાની આર.કે. પ્રાઈમ ઓફિસે હરી પટેલને બોલાવવામાં આવે છે. જ્યાં રૂ.4,28,46,000 નું વળતર લેવાની વાત કરવામાં આવે છે. જ્યાં દર્પણ બારસિયા પણ હાજર હોય છે. જોકે દર્પણ બારસીયા ત્યાં મારામારી કરે છે અને ત્યાંથી હરિ પટેલ સહિતનાને કાઢી મૂકે છે. જે બાદ દર્પણ બારસીયા એવું કહે છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા અમારા પાર્ટનર છે અને તેઓ પણ આમાં છે એટલે જો તમે આ મેટરમાં કંઈ કરશો તો તમારે પૈસા ખોવાનો વારો આવશે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મીટીંગ તેને વધુમાં ઉમેરતાં જણાવ્યું કે, જે બાદ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ દ્વારા અલ્પેશ ઢોલરીયા ને ફોન કરવામાં આવે છે તો ફોન ઉપર એક તેઓ એવું કહે છે કે અમારા છોકરાને તેની પાસેથી રૂ. 2 કરોડ લેવાના છે. તે સમયે હરી પટેલ એવું કહે છે કે જો પૈસા દેવાના બાકી હશે તો તે આપી દેશે. જે બાદ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મીટીંગ માટે બોલાવવામાં આવે છે પરંતુ કોઈ કારણોસર ત્યાં મીટીંગ કેન્સલ થાય છે અને ત્યારબાદ અલ્પેશ ઢોલરીયા ગોંડલ રોડ ઉપર આવેલા ભાજપના કાર્યાલયે બોલાવે છે અને તેને પોતાની ઓફિસ ગણાવે છે. જ્યાં મીટીંગ દરમ્યાન અલ્પેશ ઢોલરીયા ગર્ભિત ધમકીઓ આપે છે અને આમાંથી અમુક રકમ પાર્ટી ફંડમાં ગઈ હોવાનું જણાવે છે અને પૂરી રકમ મળવા પાત્ર નથી તમારે અમુક રકમનું સેટિંગ કરવું હોય તો કરાવી આપીશ તેવું કહે છે. 'દોઢ કલાક મિટિંગ શેના માટે થઈ હતી ?'આ ઉપરાંત ઢોલરીયા માનહાનીનો દાવો કરવાના છે તે અંગે પૂછતા વેપારી મહેશ હિરપરાએ જણાવ્યું હતું કે, જો અલ્પેશભાઈ મારા ઉપર 10 કરોડનો દાવો કરવાના હોય તો મારે એટલું જ કહેવાનું છે કે ગોંડલ રોડ ઉપર ભાજપ કાર્યાલયમાં હરી પટેલ સાથે દોઢ કલાક સુધી મિટિંગ થઈ હતી તે શેના માટે થઈ હતી ? અલ્પેશભાઈનો ઇરાદો ગર્ભિત ધમકીઓ આપીને રકમ પચાવી પાડવાનો હતો. 'સારો પ્રોફિટ મળશે તેવું કહી 8 લાખનું રોકાણ કરાવ્યું'ઉલ્લેખનીય છે કે વેપારી દ્વારા પોલીસ કમિશનર સમક્ષ ગઈકાલે જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા, દર્પણ બારસિયા, પરેશ ડોબરીયા, ગૌતમ બારસિયા અને સંદીપ સેખલિયા સામે અરજી કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, આરોપીઓએ સાત મહિના પહેલા મુંબઈમાં ડ્રેસ મટીરીયલનું કામકાજ કરતા હરિકૃષ્ણ પટેલ દ્વારા સાળા નિલેશ વેકરીયા અને મારો સંપર્ક કરેલો હતો. શેર બજાર અને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાથી સારો એવો પ્રોફિટ મળશે તેવું કહી રૂ.8 લાખનું રોકાણ કરાવ્યું હતું. જે બાદ તે રકમ થોડા દિવસોમાં પરત આપી દીધી હતી. '4.28 કરોડ મુંબઈ હરિ પટેલને આપવા પહોંચ્યા'જે બાદ આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરાને પાર પાડવા જણાવ્યું હતું કે જો 1 મિલિયન ડોલર એટલે કે રૂ.8 કરોડ ઇન્વેસ્ટ કરવામાં આવે તો બે દિવસમાં 10 ટકા વળતર મળે તેમ છે. જેથી આ રકમ ત્રણ દિવસમાં પરત આપી દેવા જણાવ્યું હતુ. જેથી નિખિલ સોરઠીયા, નીલેશ વેકરીયા, નાનજીભાઈ હિરપરા, રાજુભાઈ પાંભર, મહેન્દ્ર હિરપરા અને વિશાલ આહીર પાસેથી તેમજ હરી પટેલ દ્વારા અન્ય લોકો પાસેથી ઉછીના લઈને કુલ રૂ.4,28,46,000 લઈ મુંબઈ હરિ પટેલને આપવા પહોંચ્યા હતા. 'આર. કે. પ્રાઈમની ઓફિસે બેઠક, ધમકી આપવામાં આવી'જ્યાં દર્પણ બારસિયાએ નાણા અમેરિકા એમ્બેસીની બાજુમાં BKC બિલ્ડિંગના પાર્કિંગમાં રકમ આપવાનું જણાવ્યુ હતું. જોકે આ બાદ ઘણા દિવસો સુધી રકમ પરત આપવામાં આવી ન હતી. જોકે આ દરમિયાન હરિ પટેલ દ્વારા રૂ.1 કરોડની ઉઘરાણી શરૂ થઈ ગઇ. જે બાદ આર. કે. પ્રાઈમમાં ગૌતમ બારસીયાની ઓફિસે બેઠક થઈ હતી. જેમાં અમને ધમકી આપવામાં આવી હતી કે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરિયા અમારા પાર્ટનર છે જેથી આ બાબતે કોઈને વાત કરી છે તો હાથ પગ ભાંગી નાખશું. જે બાદ હરિ પટેલ સાથે અમને ધક્કા મારી કાઢી મૂકવામાં આવ્યા હતા. 'જો રકમની માંગણી કરી છે તો જાનથી હાથ ધોઈ બેસિસ'તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અલ્પેશભાઈ દ્વારા હરી પટેલને ગર્ભિત ધમકીઓ આપવામાં આવી હતી કે આરોપીઓ સામે ન પડાય અને તેઓ મોટી લાગવગ ધરાવે છે અને ઊલટાનું તમારે વધુ રકમ ચૂકવવી પડશે એના કરતાં તમે તમારી રકમ ભૂલી જાવ અને મેટર પૂરી કરી દયો. નહિતર તમારી જિંદગી ગોટાળે ચડી જશે. આરોપીઓ દ્વારા કાલાવડ રોડ પર આવેલ શ્રીજી હોટેલ પાસે મળવા બોલાવ્યા અને ત્યાં દર્પણ અને તેના 10 જેટલા સાગરીતોએ ગાળાગાળી કરી હતી અને કહ્યું હતું કે હવે જો રકમની માંગણી કરી છે તો જાનથી હાથ ધોઈ બેસિસ. જેથી આ તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:15 pm

SIRની લાઇનમાં 2 કલાકથી ઊભેલો યુવક અચાનક ઢળી પડ્યો:ઊભા-ઊભા ચક્કર આવતા જમીન પર પટકાયો, લોહીલુહાણ હાલતમાં સારવાર માટે 108માં હોસ્પિટલ ખસેડાયો

વડોદરામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) દરમિયાન એક દુખદ ઘટના બની છે. લાંબા સમય સુધી લાઇનમાં ઊભા રહેવાને કારણે એક અરજદાર યુવકની તબિયત અચાનક લથડી ગઈ અને ખેંચ આવતાં તે ચક્કર ખાઈને જમીન પર પડી ગયો. આ ઘટનામાં યુવકના માથાના ભાગે ગંભીર ઈજા થતાં તે લોહીલુહાણ થઈ ગયો હતો. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી અને યુવકને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. એક યુવકને ખેંચ આવ્યા બાદ તે ઢળી પડ્યો હતોવડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલી મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ખાતે ચાલી રહેલી SIRની કામગીરી દરમિયાન એક યુવકને ખેંચ આવ્યા બાદ તે ઢળી પડ્યો હતો અને અને માથાના ભાગે ગંભીર ઈજા થતાં લોહીલુહાણ થઈ ગયો હતો. જેને પગલે આસપાસના લોકોએ તુરંત 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને તેને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાવામાં આવ્યો હતો. 2 કલાકથી લાઈનમાં ઊભો રહીને વારાની રાહ જોતો હતોવડોદરા સહિત રાજ્યભરમાં હાલ SIRની કામગીરી ચાલી રહી છે, વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળામાં પણ આ કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન એક યુવક 2 કલાકથી લાઈનમાં ઊભો રહીને પોતાનો વારો આવવાની રાહ જોઈ રહ્યો હતો. લાંબા સમય સુધી ઊભા રહેવાના કારણે તેને અચાનક ખેંચ આવી અને તે ચક્કર ખાઈને જમીન પર ઢળી પડ્યો હતો અને માથાના ભાગે વાગવાથી તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયો હતો. જેથી આસપાસના લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. જેના મારફતે યુવકને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ બનાવ સમયે હાજર કોંગ્રેસ અગ્રણી રોનક પરીખ ઉર્ફે ચમનભાઈએ વહીવટી તંત્રની કામગીરી પર આકરા પ્રહારો કર્યા હતા. સેન્ટરમાં લોકો માટે પાણી અને બેઠકની તો વ્યવસ્થા કરો - કોંગ્રેસ અગ્રણીકોંગ્રેસ અગ્રણી રોનક પરીખે જણાવ્યું હતું કે, 4 નવેમ્બરથી SIRની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં કેટલાક લોકો મૃત્યુ પામ્યા છે. શિક્ષકોને હાર્ટએટેક આવે છે. શિક્ષકો થાકી જાય છે. લોકો હેરાન પરેશાન છે. લોકોને મતદાર યાદીની પ્રક્રિયા અંગે સમજ નથી. BLOને પણ સમજ પડતી નથી. કલેક્ટર કોઇ જવાબ આપતા નથી. સાઇટ પણ ચાલુ રહેતી નથી. આજે એક વ્યક્તિ લાઇનમાં ઉભો હતો. એ ડાયાબિટીસનો દર્દી હતો અને એને ખેંચ આવી હતી અને બ્લડ પ્રેશર વધી ગયું હતું અને ધડામ દઇને નીચે પડી ગયો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મારી સરકારને અપીલ છે કે, જે સ્કૂલમાં કામગીરી થાય ત્યાં પાણીની અને બેઠકની વ્યવસ્થા કરવામાં આવે. અહીં લોકો બે-બે કલાકથી હેરાન-પરેશાન છે, પણ એક પણ ખુરશી અહીં મુકવામાં આવી નથી. કોઇ વ્યક્તિનું મોત ન થાય, તેનું ધ્યાન રાખવુ જોઇએ. ગઈકાલે જ BLO સહાયકની કામગીરી કરતા મહિલા કર્મચારીનું મોતઉલ્લેખનીય છે કે, ગઇકાલે વડોદરા શહેરની પ્રતાપ સ્કૂલમાં BLO સહાયક તરીકેની કામગીરી કરતાં એક મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન કરુણ મોત નીપજ્યું હતુ. BLO સહાયક કામગીરી દરમિયાન અચાનક ઢળી પડ્યાં હતાં. ત્યારબાદ હોસ્પિટલમાં ખસેડાતાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતાં. મૃતક મહિલાનું નામ ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી (ઉં.વ. 50) હતું, જેઓ ગોરવા મહિલા આઇટીઆઇ (ITI)ખાતે નોકરી કરતાં હતાં અને આજે સવારે કડક બજારમાં આવેલી પ્રતાપ સ્કૂલમાં ફરજ પર હતાં. ઉષાબેન સહાયક કામગીરી કરતાં હતાં એ દરમિયાન અચાનક ઢળી પડ્યાં હતાં. ત્યારબાદ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતાં. આ પણ વાંચો: વધુ એક BLO ઢળી પડ્યાં, 4 દિવસમાં 4નાં મોત:વડોદરામાં SIRની કામગીરી દરમિયાન શિક્ષકાનું મૃત્યુ, હાર્ટ-એટેકની આશંકા; પતિએ કહ્યું- 'તેમના પર કામનું ભારણ હતું'

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:06 pm

બોટાદમાં મતદાર યાદી સુધારણામાં મુશ્કેલીથી BLO નારાજ:અપૂરતી માહિતી, સર્વર ડાઉનથી કામગીરીમાં અડચણ, સમય વધારવાની માંગ

બોટાદ જિલ્લામાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન BLO (બૂથ લેવલ ઓફિસર) ને મતદારો તરફથી અપૂરતી માહિતી, ફોર્મમાં અધૂરી વિગતો અને નેટ સર્વર ડાઉનની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આના કારણે BLOમાં નારાજગી જોવા મળી રહી છે અને તેઓ તંત્ર પાસે કામનું ભારણ ઓછું કરવા તથા સમયમર્યાદા વધારવાની માંગ કરી રહ્યા છે. BLO કવિતાબેન ખેતરીયાએ જણાવ્યું કે, મતદારો પાસેથી પૂરી માહિતી મળતી નથી અને ફોર્મ પણ અધૂરા ભરીને આપવામાં આવે છે. ઉપરાંત, નેટ સર્વર ડાઉન રહેવાથી કામગીરીમાં અવરોધ ઊભો થાય છે. તેમણે ઉમેર્યું કે તંત્ર દ્વારા કામગીરીનું દબાણ વધુ છે અને જો વધુ સમય મળે તો તેઓ અસરકારક રીતે કામ પૂર્ણ કરી શકે. જોકે, આ મુશ્કેલીઓ વચ્ચે મતદારોએ BLOની કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો છે. સ્થાનિક મતદારોએ જણાવ્યું કે BLOની કામગીરી સારી છે અને તેઓ ફોર્મ ભરવામાં પણ મદદ કરે છે. ગઢડા તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મહામંત્રીએ પણ BLOની મુશ્કેલીઓને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે મતદારો પૂરી માહિતી ન આપતા હોવાથી અને નેટ સર્વર ડાઉન રહેવાથી BLOને ફોર્મ ભરવામાં ઘણી તકલીફો પડી રહી છે. તેમણે સરકારને સમયમર્યાદા વધારવા અને BLO પરથી કામનું ભારણ ઓછું કરવાની માંગ કરી હતી. આ બાબતે અગાઉ આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 4:03 pm

પાકિસ્તાની બાળકોનું ગુજરાતની ધરતી પર ઘડતર:મહેસાણામાં સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામના 13 વર્ગો થકી 132 બાળકો મેળવી રહ્યા છે શિક્ષણ; સ્થાનિકનો વિદ્યાર્થીનો પણ સમાવેશ

રાજ્ય સરકાર દ્વારા બાળકોના શિક્ષણ માટે મહેસાણા જિલ્લામાં એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ માત્ર સ્થાનિક બાળકો માટે જ નહીં, પરંતુ એક એવા સમુદાય માટે આશાનું કિરણ બની છે, જેનો જન્મ તો પાકિસ્તાનમાં થયો છે પણ શિક્ષણ ગુજરાતની ઘરતી પર મેળવી રહ્યાં છે. લાંબા સમયથી લોંગ ટર્મ વીઝા (LTV) પર અહીં રહેતા પરિવારોના બાળકો પાકિસ્તાન છોડ્યા બાદ જે અધૂરું શિક્ષણ રહી ગયું હતું, તેને હવે ગુજરાતની સરકારી યોજનાઓ થકી પૂરું કરી રહ્યા છે. આ બાળકો ગુજરાતીમાં વાંચે છે, લખે છે અને ગણિતના દાખલા પણ ગણી શકે છે. લાખવડ ગામમાં વસતા પાકિસ્તાની બાળકો પણ અભ્યાસ કરે છેમહેસાણા જિલ્લાનું લાખવડ ગામ અહીંના એક વિશેષ ક્લાસરૂમમાં તમને એવા બાળકો જોવા મળશે, જેમના ચહેરા પર પોતાના વતનનો ત્યાગ કરવાનો દર્દ છે, પણ સાથે જ ભવિષ્ય બનાવવાનો સંકલ્પ પણ છે. આ એવા બાળકો છે જેમનો જન્મ પાકિસ્તાનમાં થયો છે અને અહીં તેઓ લોંગ ટર્મ વિઝા (LTV) પર આવેલા પરિવારના સભ્યો છે. પાકિસ્તાનમાં અધૂરું રહી ગયેલું શિક્ષણ હવે તેઓ ગુજરાતની સરકારી શાળાઓ થકી મેળવી રહ્યા છે. મહેસાણામાં આવા 13 વર્ગો ચાલી રહ્યા છેઆ બાળકો માટે રાજ્ય સરકાર દ્વારા સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ (STP) હેઠળ વિશેષ વર્ગો ચલાવવામાં આવી રહ્યા છે. આ પ્રોગ્રામ થકી એવા બાળકોને પદ્ધતિસરનું શિક્ષણ આપવામાં આવે છે, જેઓ કોઈ કારણસર શાળા છોડી ગયા હોય (ડ્રોપઆઉટ) અથવા ક્યારેય શાળાએ જઈ શક્યા ન હોય. મહેસાણામાં આવા કુલ 13 વર્ગો ચાલી રહ્યા છે, જે 9 મહિના સુધી ચાલે છે. મહેસાણા જિલ્લામાં આ સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામના વર્ગો થકી 132 બાળકો લાભ લઈ રહ્યા છે. આ સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ વર્ગોની વિશેષતા એ છે કે, તેમાં પાકિસ્તાની બાળકોની સાથે સ્થાનિક ડ્રોપઆઉટ બાળકો પણ અભ્યાસ કરી રહ્યા છે. ધોરણ 3થી 8ના આ તમામ બાળકો એક જ ક્લાસરૂમમાં બેસીને ગુજરાતી ભાષા, ગણિત અને અન્ય વિષયોનું જ્ઞાન મેળવી રહ્યા છે. સર્વે કરીને શાળાએ ન ગયેલા કે અભ્યાસ છોડી દીધેલા બાળકોને શોધીને તેમને આ પ્રોગ્રામમાં જોડવામાં આવે છે. આ બાળકોના શિક્ષણનો મુખ્ય હેતુ તેમને મુખ્ય પ્રવાહના શિક્ષણ સાથે જોડવાનો છે. ઉંમર પ્રમાણે તેને જે તે ધોરણમાં નિયમિત પ્રવેશ આપવામાં આવે છે. આ રીતે, પાકિસ્તાનથી આવેલા બાળકો માત્ર આશરો જ નહીં, પણ ભારતમાં પોતાના શિક્ષણ અને ભવિષ્ય માટે એક મજબૂત પાયો નાખી રહ્યા છે. હાલમાં મહેસાણા જિલ્લામાં આ STPના વર્ગો થકી 132 બાળકો લાભ લઈ રહ્યા છે, જેમાં પાકિસ્તાની બાળકો પણ સામેલ છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી શરદ ત્રિવેદીએ જણાવ્યું કે, આપણે દર વખતે સમગ્ર શિક્ષા દ્વારા સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ કરી અને વર્ગો ચલાવતા હોઈએ છીએ. જે વર્ગો દ્વારા શાળા બહારના બાળકો કે કોઈ કારણસર શાળાએ જઈ શક્યા નથી, સ્થળાંતરના કારણે કે અન્ય કોઈ કારણસર એવા બાળકો કે જે મુખ્ય પ્રવાહના શિક્ષણથી વંચિત છે, એવા બાળકો માટે આપણે મુખ્ય પ્રવાહમાં ફરીથી જોડાઈ શકે અને ભારત સરકારના મફત અને ફરજિયાત શિક્ષણનો લાભ લઈ શકે તે હેતુથી આવા STP વર્ગો આપણે નવ મહિના ચલાવતા હોઈએ છીએ. અને જેના આધારે બાળકોને મેઈન સ્ટ્રીમમાં લાવવા માટે પરીક્ષા લઈ અને પછી મેઈન સ્ટ્રીમમાં લાવતા હોઈએ છીએ. આ આખી પ્રોસેસમાં એવું હોય છે કે, જો આજુબાજુના વિસ્તારમાં સર્વે કરવાના કારણે શાળાએ ન ગયેલા બાળકો અથવા તો કોઈ કારણસર અધ્વચ્ચે અભ્યાસ છોડી દીધો હોય, એવા બાળકો મળી આવે તો એવા બાળકો માટે સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે છે. કારણ કે, એ વ્યવસ્થિત પદ્ધતિસરનું શિક્ષણ એમણે મેળવેલું હોતું નથી તો એમને પદ્ધતિસરનું શિક્ષણ આપવામાં આવે છે. ત્યારબાદ એમની પરીક્ષા લઈ અને એ જે તે ધોરણની અંદર એમની વય કક્ષા પ્રમાણે મૂકવામાં આવતા હોય છે. સરકારનો અભિગમ છે અને ઘણા સમયથી ચાલે છે. અત્યારે આપણે ત્યાં મહેસાણાની 13 વર્ગો ચાલી રહ્યા છે અને 132 બાળકો એનો લાભ લઈ રહ્યા છે. પાકિસ્તાનથી આવેલા બાળકો ગુજરાતી ભણી વાંચતા-લખતા થયાવણકર ભારતીબેને જણાવ્યું કે, લાખવડ શાળામાં STP વર્ગો ચાલે છે એ વર્ગો હું ચલાઉ છું. જે લોન્ગ ટર્મ વિઝા પર પાકિસ્તાનથી આવેલા છે, એવા બાળકોનું ભણતર બગડે નહિ એ માટે આ શાળામાં બેસાડવામાં આવે છે. એવા બાળકોને હું એક વર્ષ ભણાઉ છું પછી જેમ તૈયાર થાય એ પ્રમાણે જેતે વર્ગમાં મુકવામાં આવે છે. મારા વર્ગમાં 16 બાળકો છે. બીજા બાળકો 50 જેટલા છે એમનું પણ ભણતરના બગડે એટલે શાળાના આચાર્ય એમને ભણવા બેસવા દે છે. આ બાળકો ત્રીજાથી આઠમા ધોરણ સુધીના હોઈ છે. પાકિસ્તાનમાં થોડું ભણેલા હોઇ અમુક બાળકો શાળાએ ગયા નથી, તેવા બાળકોને ગુજરાતી આવડતું નથી, પરંતુ અહીંયા તેઓને બધું શીખવાડવામાં આવે છે. આવા બાળકોને ભણવામાં પણ વધારે રસ હોવાનું જોવા મળે છે, જેથી કરીને તેઓ ગુજરાતી ભણી શકે છે, વાંચી-લખી પણ શકે છે. મહેસાણા જિલ્લાનો આ સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે કે શિક્ષણ માત્ર અધિકાર જ નથી, પણ એક નવું જીવન શરૂ કરવાની ચાવી પણ છે. સરહદોની પારથી આવેલા હોય કે પછી સ્થાનિક સ્તરે શિક્ષણથી વંચિત હોય, આ પ્રોગ્રામ થકી દરેક બાળકને સમાન તક મળી રહી છે. લાખવડમાં પાકિસ્તાની બાળકોનું ગુજરાતી ભણવું અને સ્થાનિક બાળકો સાથે ભળી જવું, એ જ દર્શાવે છે કે જ્ઞાનની કોઈ સીમા નથી હોતી. આ જ્ઞાન તેમને આવતીકાલના મુખ્ય પ્રવાહના નાગરિક બનાવવામાં મદદરૂપ થશે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 3:57 pm

લગ્ન પ્રસંગમાં ₹4.34 લાખની ચોરી:ચંચળબા પાર્ટી પ્લોટમાં સોફા પર મૂકેલું પર્સ લઈને અજાણ્યો તસ્કર ફરાર, લગ્ન પાર્ટી પ્લોટમાં ચોરીછૂપે પ્રવેશી ચોરીને અંજામ આપ્યો

એસ.પી.રિંગ રોડ પર આવેલા ચંચળબા પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાં આવીને અજાણ્યા શખસે હાથ સાફ કર્યો છે. ગઈકાલે મનિષાબેન પંચાલ તેમના ભાઈના દીકરાના લગ્નમાં ગયા હતા. લગ્ન પ્રસંગમાં પાર્ટી પ્લોટમાં સોફા પર સોનાના દાગીના અને રોકડ સાથેનું પર્સ મૂક્યું હતું. તે દરમિયાન અજાણ્યો શખસ લગ્ન પ્રસંગમાં આવીને સોફા પર મૂકેલું પર્સ લઈને ફરાર થઈ ગયો હતો. 3 લાખથી વધુના સોનાના દાગીના સહિત 4.34 લાખની ચોરી થતા સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. લગ્ન પ્રસંગમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યોલગ્ન પ્રસંગ આવતા તસ્કરો એક્ટિવ થઈ ગયા છે અને ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ફરિયાદી મનિષાબેન પંચાલ પરિવાર સાથે ઘોડાસર વિસ્તારમાં રહે છે. ગઈકાલે મનિષાબેન પંચાલના ભાઈના દીકરાના લગ્ન હતા. જેથી, લગ્ન પ્રસંગનું આયોજન એસ.પી. રીંગ રોડ પર આવેલા ચંચળબા પાર્ટી પ્લોટમાં રાખવામાં આવ્યું હતું. જેના માટે મનિષાબેન પરિવાર સાથે ગયા હતા. લગ્ન પ્રસંગ હોવાથી સોનાના દાગીના અને રોકડ રૂપિયા પણ હતા. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરીસોનાના દાગીના અને રોકડ રૂપિયા એક પર્સમાં રાખવામાં આવ્યા હતા. જે લગ્નમાં એક સોફા પર રાખવામાં આવ્યું હતું પરંતુ, કામ હોવાથી પર્સ સાથે લઈ જવાનું ભૂલી ગયા હતા. થોડા સમય બાદ પર્સ લેવા માટે આવતા તે સોફા પર મળી આવેલ નહતું. જેથી આસપાસમાં શોધખોળ પણ કરવામાં આવી હતી પરંતુ, મળી ન આવતા કોઈક અજાણ્યો શખસ ચોરી કરી ગયો હોવાનું સામે આવ્યું હતું. પર્સમાં 3 લાખથી વધુના સોનાના દાગીના સહિત 4.34 લાખની વસ્તુઓ હતી તેની પણ ચોરી થઈ ગઈ હતી. જેથી ફરિયાદીએ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 3:56 pm

સાબરકાંઠામાં ભાજપની મતદાર યાદી સુધારણા ડ્રાઇવ:ધારાસભ્યો-સાંસદ બૂથ પર, મતદારોને ફોર્મ ભરવામાં મદદ કરી

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા વિશેષ ડ્રાઇવ યોજાઈ હતી. આ ડ્રાઇવમાં ભાજપના ધારાસભ્યો અને સાંસદ સહિતના નેતાઓ મતદાન બૂથ પર પહોંચ્યા હતા. તેમણે કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો અને કામગીરીની સમીક્ષા કરી હતી. આ કાર્યક્રમ 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ચાલી રહ્યો છે, જેમાં શનિવાર અને રવિવાર ખાસ મતદાર યાદી સુધારણા દિવસો તરીકે ઉજવાયા હતા. રવિવારે સવારથી જ બૂથ લેવલ ઓફિસરો (BLO) મતદાન મથકો પર હાજર રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના કુલ 1282 મતદાન મથકો પર BLO, સહાયકો અને અન્ય સરકારી કર્મચારીઓ મતદારોને મદદ કરી રહ્યા છે. ભાજપની આ ડ્રાઇવમાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરા, પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, સાબરકાંઠા અને અરવલ્લીના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુ પટેલ સહિત સંગઠનના હોદ્દેદારો જિલ્લા અને વિધાનસભાના મતદાન મથકોએ પહોંચ્યા હતા. ભાજપના કાર્યકરો પણ BLOની મદદમાં જોડાયા હતા અને મતદારોને ફોર્મ ભરવામાં તથા પરત લાવવામાં સહાય કરી હતી. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ હિંમતનગરના વોર્ડ નંબર-6 માં આવેલા બૂથ નંબર-125 અને 126ની મુલાકાત લીધી હતી. તેમણે SIR કામગીરીની સમીક્ષા કરી હતી અને આ બૂથ પર 95 ટકા કામગીરી પૂર્ણ થવા બદલ તમામ હોદ્દેદારો અને BLOને અભિનંદન પાઠવ્યા હતા. આ મુલાકાત દરમિયાન શહેર પ્રમુખ કુલદીપ પાઠક, મહામંત્રી ભવરસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ સવજી ભાટી અને વાસુદેવ રાવલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ધારાસભ્ય ઝાલાએ હિંમતનગરના બળવંતપુરા વિસ્તારમાં સમાવિષ્ટ બૂથ નંબર-145, 146, 147 અને 148 પર ચાલી રહેલી સ્પેશિયલ ડ્રાઇવ કામગીરીની પણ સમીક્ષા કરી હતી. અહીં 90 ટકા કામગીરી પૂર્ણ થતાં તેમણે BLO, BLA સહિતની સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે અતુલ દીક્ષિત, સવજી ભાટી, ભવરસિંહ ચૌહાણ, પ્રફુલ કાથાવાલા, કનુ રાવલ, રશ્મિકાંત પંડ્યા અને નટુ ઓઝા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. તેમણે હિંમતનગર સ્થિત મહાવીરનગર વિસ્તારના બૂથ નંબર-76 અને 100ની પણ મુલાકાત લીધી હતી. અહીં તેમણે સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત કામગીરીની સમીક્ષા કરી અને હોદ્દેદારોને મતદારોને મદદરૂપ થવા માટે પ્રેરિત કર્યા હતા. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય, સવજી ભાટી, ભવરસિંહ ચૌહાણ અને મિલન શાહ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 3:50 pm

15 સંતોએ પણ રકતદાન કરીને પ્રેરણા આપી:વડોદરામાં મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતી પૂર્વે BAPS અટલાદરા મંદિરે આયોજિત વિરાટ રક્તદાન શિબિરમાં 992 યુનિટ રક્ત એકત્રિત કરાયું

બીએપીએસ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરના અટલાદરા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આજે વિરાટ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 992 હરિભક્તોએ રક્તદાન કર્યું હતું. આ રક્તદાનથી આશરે 3.50 લાખ સીસી રક્ત એકત્ર થયું છે, જેનો ઉપયોગ દર્દીઓને જીવનદાન આપવામાં થશે. આ મહાદાન રક્તદાન યજ્ઞનો પ્રારંભ સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય નારાયણમુનિ સ્વામીના વરદ હસ્તે થયો હતો. સૌથી પહેલાં સંસ્થાના 15થી વધુ પૂજ્ય સંતોએ પોતે રક્તદાન કરીને અન્ય ભક્તોને પ્રેરણા આપી હતી. વડોદરા શહેરના વિવિધ વિસ્તાર પ્રમાણે ભક્તોને રક્તદાન કરવા માટે સ્લોટ નક્કી કરવામાં આવ્યા હતા, જેથી રક્તદાન કેન્દ્ર પર ભીડ ન થાય અને દરેકને સરળતાથી રક્તદાન કરવાની તક મળે. આ રક્તદાન યજ્ઞ બીએપીએસ સંસ્થાના વડા પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે યોજાયો હતો. મહંત સ્વામી મહારાજનો જન્મ મહોત્સવ આગામી 2 ફેબ્રુઆરી 2026ના રોજ વડોદરામાં ધામધૂમથી ઊજવાશે, તે પૂર્વે ત્રણ મહિના સુધી વિવિધ સમાજસેવાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અટલાદરા BAPS મંદિરના સંત વિવેકનિષ્ઠ સ્વામીએ જણાવ્યું હતું કે, પરોપકાર એ જ સંતોનું સાચું કાર્ય છે. આજે અહીં આપ સૌ મૂર્તિમાન સ્વરૂપે જોઈ રહ્યા છો કે, સંતો પોતે રક્તદાન કરી રહ્યા છે. મહંત સ્વામી મહારાજની જન્મજયંતી નિમિત્તે આવનારા તમામ કાર્યક્રમોમાં હરિભક્તો પધારે અને આ પવિત્ર લાભ લે, એ જ અમારી વિનંતી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હંમેશા સંતોનું કાર્ય છે પરોપકાર કરવાનું છે. परोपकाराय सतां विभूतयः અહીંયા આપણને મૂર્તિમાન દેખાય છે. કોઈનો પણ જીવ આનાથી બચતો હોય, કોઈને લાભ થતો હોય, તો બહુ મોટો ઉપકાર થયો ગણાય. હંમેશા જ્યારે કંઈ સમાજસેવાની પ્રવૃત્તિ આવે છે, બીએપીએસ સંસ્થા હંમેશા અગ્રેસર હોય છે. હમણાં થોડાક દિવસો પૂર્વે જ ગ્રામ્ય વિસ્તારની અંદર વૃક્ષારોપણ અભિયાનનો પણ પ્રારંભ થયો હતો. આવા ઘણા બધા આયોજનો મહંત સ્વામી મહારાજની જન્મજયંતી સુધી થવાના છે. આપણે પણ ખાસ મહંત સ્વામી મહારાજનો વિશેષ મહિમા આપણે સમજીએ, તેમના જન્મજયંતી નિમિત્તે લાભ પ્રાપ્ત કરવા માટે અવશ્ય પધારીએ તેવી આપ સૌને વિનંતી છે. BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલનાCEO ડૉ. સમીર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, મહંત સ્વામી મહારાજ પ્રત્યેનું ઋણ અદા કરવાનો આ નાનકડો પ્રયત્ન છે. એક વ્યક્તિનું રક્તદાન ત્રણ જીવ બચાવી શકે છે. રક્તકણો, શ્વેતકણો અને પ્લાઝમા – એ રીતે ત્રણ જીવનને નવજીવન મળે છે. આજે ૯૯૨થી વધુ ભક્તોએ રક્તદાન કર્યું છે. ત્રણ મોટી બ્લડ બેંક્સ તથા HDFC બેંકનો સહયોગ પણ અમને મળ્યો છે. આવા કાર્યો દ્વારા મહંત સ્વામી મહારાજનો સંદેશ વધુ ને વધુ લોકો સુધી પહોંચે એ જ અમારી ઈચ્છા છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 3:41 pm

અમરેલીમાં યુનિટી માર્ચ-પદયાત્રાનું આયોજન:સરદાર પટેલની 150મી જન્મજયંતીની ઉજવણી, પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે, રાષ્ટ્રીય એકતાના સંદેશ સાથે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમરેલી-કુંકાવાવ-વડિયા વિધાનસભા મત વિસ્તારમાં ભવ્ય યુનિટી માર્ચ-પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા અમરેલીના સરદાર સર્કલથી શરૂ થઈ શેડુભાર સુધી યોજાઈ હતી. આ પદયાત્રાને રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરીયાએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પ અર્પણ કરીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે સાંસદ ભરત સુતરીયા, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, અમરેલી પ્રાંત અધિકારી મહેશ નાકીયા સહિતના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ પણ સહભાગી બન્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી, દેશના દરેક નાગરિકમાં રાષ્ટ્રીય એકતા, સમરસતા, સહકાર, સ્વાભિમાન અને દેશપ્રેમની ભાવના પ્રજ્વલિત થાય તે હેતુથી સરદાર પટેલની 150મી જન્મજયંતીની સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે. આપણે ભારતીય છીએ અને ભારત આપણું છે. આપણે એક થઈને રહીશું તો જ પ્રગતિ કરી શકીશું. - સરદાર સાહેબના આ સંદેશને જન-જન સુધી પહોંચાડવા માટે દેશભરમાં “સરદાર @150: યુનિટી માર્ચ” યોજાઈ રહી છે. યુનિટી માર્ચ દરમિયાન રૂટ પર આવેલા વિવિધ ગામોમાં ગ્રામજનોએ ઢોલ-નગારા સાથે પદયાત્રાનું હર્ષભેર સ્વાગત કર્યું હતું. પદયાત્રાના રૂટ પર વિવિધ સમાજના આગેવાનો અને અગ્રણીઓ દ્વારા પણ ઉત્સાહભેર અભિવાદન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, રૂટ પર નૃત્ય સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. મોટા માચીયાળા મુકામે પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ પદયાત્રિકોને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, ભારત આઝાદ થયું ત્યારે સરદાર સાહેબે 562 જેટલા નાના-મોટા રજવાડાઓને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. તેમણે જૂનાગઢના નવાબને ઝુકાવીને જૂનાગઢનું ભારતસંઘમાં આન-બાન-શાન સાથે જોડાણ કરાવ્યું હતું. “એક ભારત-શ્રેષ્ઠ ભારત” અને “જય સરદાર”ના નારાઓની ગૂંજ સાથે યુનિટી માર્ચ-પદયાત્રા સમાપન સ્થળ શેડુભાર ખાતે પહોંચી હતી. અહીં ગ્રામજનોએ ઢોલ નગારા સાથે પદયાત્રાનું હર્ષભેર સ્વાગત કર્યું હતું. કૈલાસ મુક્તિધામ પરિસરમાં રાજ્યમંત્રી કૌશિક વેકરિયા, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાળવણીનો અનેરો સંદેશ પ્રસરાવ્યો હતો. અમરેલીમાં આયોજિત યુનિટી માર્ચ-પદયાત્રામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, અગ્રણીઓ, જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ, અમરેલીના વિવિધ સમાજના આગેવાનો, ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટસ સ્કૂલના વિદ્યાર્થીઓ - રમતવીરો, શહેરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 3:41 pm

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બુથોમાં ફરી SIR કામગીરીનું નિરીક્ષણ કર્યું:ઓઢવમાં કાંસાની તાસણીમાં ચાની ચૂસકી માણી, સાંજે ગોમતીપુર અને જમાલપુરના બુથો પર નિરિક્ષણ

ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સહિત રાજ્ય સરકારના વિવિધ મંત્રીઓ અને હોદ્દેદારો અલગ અલગ મતવિસ્તારમાં બુથો અને સોસાયટીઓમાં જઈને SIR કામગીરીમાં મદદ અને નિરીક્ષણ કરવા પહોંચ્યા હતાં. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા નિકોલ વિધાનસભા વિસ્તારમાં ઓઢવ ખાતે આવેલા ગોકુલ નગરમાં બુથ પર પહોંચ્યા હતા જ્યાં તેઓએ રોડ પર બેસીને કાર્યકર્તાના ઘરની કાંસાની તાસણીમાં ચાની ચુસકી પણ લીધી હતી. પ્રદેશ પ્રમુખ ઇન્દ્રપુરી અને ઓઢવ વિસ્તારમાં પણ આવેલી સોસાયટીઓમાં ગયા હતા સાંજે ગોમતીપુર અને જમાલપુર વિસ્તારના બુથો પર જશે. 'નાગરિકોને ફોર્મ ભરવામાં તકલીફ પડતી હોય તો તેને બૂથ પ્રમુખો મદદ કરે'શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહે જણાવ્યું હતું કે, સરકારના મંત્રી અને સંગઠના લોકો SIR કામગીરી મદદ કરવા આજે વિવિધ વિસ્તારમાં ગયા છે. બીએલઓ સાથે ભાજપના બીએલઓ - 2 કાર્યકર્તા જશે. સ્થાનિકો સાથે ફોર્મ ભરવાની કામગીરી કરે છે. જે પણ નાગરિકોને ફોર્મ ભરવામાં તકલીફ પડતી હોય તો તેને બૂથ પ્રમુખો મદદ કરે તેના માટેની પણ સૂચના આપી છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા SIR કામગીરીના નિરીક્ષણ માટે આજે 23 નવેમ્બરના રોજ નિકોલ વિધાનસભામાં ઓઢવ ખાતે આવ્યા હતા. ઓઢવ, વિરાટનગર ઇન્દ્રપુરી સહિતના વિસ્તારોની સોસાયટીના બૂથમાં ફરી SIRની કામગીરી અંતર્ગત ફોર્મ ભરવામાં આવ્યા છે કે કેમ વગેરે અંગેની તપાસ કરી હતી. 'આપઘાત મુદે ચૂંટણી પંચ જવાબ આપશે'રાજ્યમાં ચૂંટણીપંચ દ્વારા SIRની કામગીરી કરવામાં આવી રહી છે જે અંતર્ગત શિક્ષકોને બુથ લેવલ ઓફિસર (BLO)ની કામગીરી સોંપવામાં આવી છે જેમાં રાજ્યના અલગ અલગ શહેરોમાં આપઘાત અને મોત થઈ રહ્યા છે ત્યારે BLOના આપઘાત મુદે પ્રેરક શાહે જવાબ આપવાનું ટાળ્યું હતું. તેઓએ કહ્યું હતું કે આ કામગીરી કેન્દ્રીય ચૂંટણી પંચ જૂએ છે. આપઘાત મુદે ચૂંટણી પંચ જવાબ આપશે. કોંગ્રેસ નકારાત્મક રાજનીતી કરે છે. ભાજપ પ્રદેશ પ્રમુખ ઓઢવમાં SIR કામગીરીનું નિરીક્ષણ કર્યુંગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે સવારે નિકોલ વિધાનસભા વિસ્તારમાં ઓઢવ વોર્ડમાં આવેલા ગોકુલનગર ખાતે SIR કામગીરીનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા. ઓઢવના ભૂતપ્રમુખ અને શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ વગેરેને મળ્યા હતા અને તેમના મતવિસ્તારમાં જેટલા પણ નાગરિકો છે તેમના SIR અંતર્ગત ફોર્મ ભરાઈ ગયા છે કે કેમ તે અંગેની માહિતી મેળવી હતી. કાર્યકર્તાના ઘરની બહાર બેસીને તેઓએ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ અને શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહે રબારી સમાજની પરંપરાગત કાંસાની તાસણીમાં ચાની ચુસકી પણ માણી હતી. 'મતદાર યાદીમાં નામ રહી ના જાય તેના માટે દરેક લોકો આ ફોર્મ જમા કરાવે'જગદીશ વિશ્વકર્માએ સ્થાનિક લોકોને જણાવ્યું હતું કે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જે ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. દરેક લોકોનો મતદાર યાદીમાં નામ રહી ના જાય તેના માટે દરેક લોકો આ ફોર્મ જમા કરાવે. સોસાયટીમાં કોઈપણ નાગરિક રહી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવા માટેની પણ જણાવ્યું હતું. જે લોકો અન્ય પ્રાંતમાંથી પણ અહીંયા આવ્યા છે તે લોકોના ફોર્મ પણ જમા કરાવડાવે નહીં તો એક જ જગ્યાએ બે નામ ચાલશે જેથી સોસાયટીમાં કોઈપણ વ્યક્તિ રહી ના જાય તેનું ખાસ ધ્યાન રાખી અને ફોર્મ ભરાવવા માટે જણાવ્યું હતું. 'એક જ જગ્યાએ એક જ વ્યક્તિ મતદાન કરે તે પ્રકારની વ્યવસ્થા કરાશે'વિરાટ નગર ખાતે આવેલ લીંબુવાડી પાસેના કૈલાસ ગામ રો હાઉસ ખાતે પણ જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા હતા, જ્યાં તેઓ દ્વારા સ્થાનિક સોસાયટીના લોકોને મળ્યા હતા અને તમામ લોકોએ ફોર્મ જમા કરાવ્યું છે કે નહીં તે અંગે પૂછ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે અનેક લોકો પોતાનું ઘર બદલી દે છે છતાં પણ તેમનું નામ દૂર કરતા નથી. SIRની કામગીરીમાં એક જ જગ્યાએ એક જ વ્યક્તિ મતદાન કરે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. કેટલાક વોર્ડમાં હું ફર્યો છું અને જ્યાં જોયું છે કે મતદાર વોર્ડમાં રહેતો નથી અને ગુનેગાર છતાં નામ ચાલતું હોય છે. અનેક ઘૂસણખોરો મતદાનમાં પણ ખુશી ગયા છે જેથી તેમને દૂર કરવા જરૂરી છે દરેક લોકો પોતાનું ફોર્મ જમા કરાવે અને કોઈપણ તકલીફ હોય તો બુથ પ્રમુખને જાણ કરે જેનાથી ફોર્મ ભરવામાં સરળતા રહેશે. સોસાયટીઓના બુથ પર જઈ અને SIRની કામગીરીનું નિરીક્ષણ કર્યું ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા સવારે ઓઢવ, ઇન્દ્રપુરી અને વિરાટનગર ખાતે સોસાયટીઓના બુથ પર જઈ અને SIRની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેઓની સાથે શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ, મહામંત્રી પરેશ લાખાણી, શહેર હોદ્દેદાર સત્યમ પટેલ, ખોખરા કોર્પોરેટર કમલેશ પટેલ અને સ્થાનિક કોર્પોરેટરો હાજર રહ્યા હતા. સાંજે ગોમતીપુર, દાણીલીમડા, બહેરામપુરા અને ખાડીયા મતવિસ્તારમાં આવેલા બુથોમાં જઈને SIRની કામગીરીનું નિરીક્ષણ કરશે

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 3:23 pm

સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ઉમરગામમાં યુનિટી માર્ચ યોજાઈ:ગાંધીવાડીથી ગાંધી સદન સુધી પદયાત્રા, સાંસદ-ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા

વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે 'યુનિટી માર્ચ' પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશની એકતામાં સરદાર પટેલના યોગદાનને યાદ કરવા અને લોકોને એકતાના સંદેશ સાથે જોડવા આ યાત્રા યોજાઈ હતી. ઉમરગામ ભાજપ દ્વારા શહેરના ગાંધીવાડીથી ગાંધી સદન સુધી આ માર્ચનું આયોજન કરાયું હતું. વલસાડના સાંસદ ધવલ પટેલ અને ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરના અધ્યક્ષ સ્થાને આ એકતા રન યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા. પદયાત્રા પહેલાં ઉમરગામ શહેરના ગાંધીવાડી ખાતે એક જાહેર સભા યોજાઈ હતી, જેમાં ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લોકસભાના દંડક ધવલ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા અને ધારાસભ્ય રમણલાલ પાટકર સહિતના અગ્રણીઓએ લીલી ઝંડી બતાવી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ સમગ્ર યાત્રામાં ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા. સમગ્ર યાત્રા દરમિયાન 'ભારત માતા કી જય' અને 'જય સરદાર' ના નાદ સાથે નાનાપોંઢાના મુખ્ય માર્ગો ગુંજી ઉઠ્યા હતા. કાર્યક્રમમાં સાંસદ ધવલ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા સહિતના અગ્રણીઓએ સરદાર વલ્લભભાઈ પટેલે દેશના ઘડતર માટે આપેલા મહત્ત્વના યોગદાનો વિશે લોકોને માહિતગાર કર્યા હતા. સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ 'યુનિટી માર્ચ' માં વલસાડ જિલ્લાના લોકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. આ પદયાત્રાએ એકતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ ફેલાવીને ઉમરગામ શહેરના ગાંધીવાડીથી ગાંધી સદન સુધીના માર્ગને ગુંજતો કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 3:15 pm

જમાલપુરમાં મંજૂરી વગર ખડકી દેવાયેલી 6 માળની બિલ્ડીંગ તોડી પડાઈ:AMCએ બિલ્ડીંગ સીલ કરી હોવા છતા બાંધકામ ચાલુ રાખનાર બિલ્ડર સામે ગુનો નોંધાયો

અમદાવાદના ગાયકવાડ હવેલી વિસ્તારના બિલ્ડિંગ માફિયા સામે ગેરકાયદેસર અને નીચી ગુણવતાવાળું બાંધકામ ઊભું કર્યું હતું.AMC દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી.પોલીસે ગુનો નોધી AMC સાથે મળીને ગેરકાયદેસર બાંધકામ તોડી નાખ્યું હતું.પોલીસે આરોપી વિરુદ્ધ તપાસ પણ શરૂ કરી છે. AMC કે આર્કિયોલોજી વિભાગની મંજૂરી વગર 6 માળની ઇમારત ખડકી દેવાઈગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વસંત રજબ પોલીસ ચોકી નજીક આવેલ રહેણાંક ફલેટ વર્ષ 2023માં 6 માળના ફલેટ બનાવવામાં આવ્યા હતા.જેને પગલે AMC એ ગેરકાયદેસર બાંધકામને લઈ ને 6 નોટિસ આપી હતી તેમ છતાં બિલ્ડર દ્વારા બાંધકામ દૂર કર્યું ન હતું.ત્યારે AMC અને ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા 5 હજાર 900 ચોરસ મીટર બાંધકામ તોડી પાડ્યું હતું. બિલ્ડર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવીગાયકવાડ હવેલી પોલીસે જમાલપુરના બિલ્ડર માફિયા તૌસિફ કાદરી અને ફારૂક અબ્દુલકાદર સામે ફરિયાદ પણ નોંધીને ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.ત્યારે પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે ફ્લેટ AMCની પરવાનગી વગર બનાવ્યા હતા.બિલ્ડિંગ સાથે જ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તાર મોન્યુમેન્ટ વિસ્તારમાં આવે છે જેની પણ મંજૂરી વગર ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું.પોલીસે આ મામલે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 3:07 pm

ધારાસભ્ય સી.કે.રાઉલજીએ ગોધરામાં શાંતિ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું:બ્રહ્માકુમારીઝ દ્વારા 'બિલિયન મિનિટ્સ ઓફ પીસ' પ્રોજેક્ટ અંતર્ગત આયોજન

ગોધરામાં પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા 'બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ' અંતર્ગત 'શાંતિ યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાને ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના મુખ્ય સેવાકેન્દ્ર સંચાલિકા રાજયોગિની બી.કે. સુરેખા દીદીએ જણાવ્યું હતું કે, પ્રત્યેક માનવના અંતરમનની ચાહના શાંતિ છે. વ્યક્તિના જીવનમાં શાંતિ જ સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વર્તમાન અશાંતિભર્યા વિશ્વમાં આપણે સ્વયં શાંતમૂર્ત રહીને શાંતિના વાયબ્રેશન ચારેકોર ફેલાવીએ, એ જ વર્તમાન સમયની માંગ છે. વ્યક્તિથી લઈને વિશ્વમાં શાંતિનો સંદેશ આપવાના શુભ ઉદ્દેશ્ય સાથે સમગ્ર ગુજરાતમાં બ્રહ્માકુમારીઝના 500 સેવા કેન્દ્રો અને 5000 પાઠશાળા દ્વારા એક જ દિવસે અને એક જ સમયે આ પ્રકારની શાંતિ યાત્રાઓનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૭:૦૦ કલાકે બ્રહ્માકુમારીઝ પ્રભારોડ સેન્ટર રાજઋષિ ભવન ખાતેથી શરૂ થયેલી આ યાત્રામાં લાલબાગ મંદિરના મહંત દિલીપભાઈ પણ ખાસ જોડાયા હતા. આ યાત્રા ચર્ચ રોડ, સિવિલ હોસ્પિટલ, વિશ્વકર્મા ચોક, કલાલ દરવાજા, લાલબાગ મંદિર, પોલીસ હેડક્વાર્ટર અને શાંતિ નિવાસ સોસાયટી થઈને પરત પ્રભારોડ કેન્દ્ર ખાતે પૂર્ણ થઈ હતી. સમગ્ર યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ભાઈ-બહેનોએ ઉમંગભેર જોડાઈને શાંતિ મંત્રોના ઉચ્ચારણ સાથે નગરજનોને શાંતિનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે બી.કે. સુરેખા દીદીના માર્ગદર્શન હેઠળ બી.કે. શૈલેષભાઈ, બી.કે. કનુભાઈ, બી.કે. મહેન્દ્રભાઈ, બી.કે. પંકજભાઈ, માહિતી કચેરીના સેવાનિવૃત્ત બી.કે. કોકિલાબેન તેમજ અન્ય બ્રહ્મકુમારી બહેનોએ જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 2:57 pm

3 વર્ષના દીકરા સાથે માતાએ ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યા કરી:અમદાવાદના સોલા બ્રિજ પાસેનો બનાવ, પતિ, સાસુ અને સસરા સામે મરી જવા મજબૂર કર્યાની ફરિયાદ

અમદાવાદમાં સોલા બ્રિજ પરની રેલ્વે ટ્રેક પર પરિણીતાએ ત્રણ વર્ષના પુત્ર સાથે પડતું મૂકીને આપઘાત કરી લીધો છે.પરિણીતાએ પતિ અને સાસુ સસરાના ત્રાસથી કંટાળીને દીકરા સાથે આપઘાત કરી લીધો છે.પરિણીતાના ભાઈના લગ્ન હતા ત્યારે લગ્નમાં પણ જવા દીધી નહોતી.વારંવાર માનસિક અને શારીરિક ત્રાસ આપતા પરિણીતાએ કંટાળીને આપઘાત કરી લીધો છે.આ અંગે બોડકદેવ પોલીસે પતિ અને સાસુ,સસરા વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સાસરિયાઓના ત્રાસના કારણે અંતિમ પગલું ભર્યું વિરમગામમાં રહેતા અંબારામભાઈ સોલંકીએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે વર્ષ 2016માં તેમની દીકરી મીતાના હસમુખ મકવાણા નામના યુવક સાથે લગ્ન કરાવ્યા હતા.હસમુખ સોલા બ્રિજ નીચે છાપરામાં રહે છે.હસમુખ અને મિતાને ત્રણ વર્ષનો એક બાળક પણ છે.લગ્ન થયા ત્યારથી હસમુખ મીતા ઉપર શક રાખીને મારઝૂડ કરતો અને ત્રાસ પણ આપતો હતો.હસમુખના માતા શારદાબેન અને પિતા કનુભાઈ પણ મિતાને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા.દોઢ વર્ષ પહેલાં મીતાના ભાઈના લગ્ન હતા જેમાં સાસરીયોએ જવા દીધી નહોતી અને કહ્યું હતું કે જો તારે તારા ભાઈના લગ્નમાં જવું હોય તો તું મરી જજે પરંતુ અમારા ઘરે પાછી ન આવતી જેથી મીતા લગ્નમાં ગઈ નહોતી. પતિ, સાસુ અને સસરા સામે ફરિયાદત્યારબાદ પણ અવારનવાર ત્રણે જણા મળીને મિતાને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા.મીતા તેના પિયરમાં પણ ગઈ હતી ત્યારે તેના પિતાએ તેને પૂછ્યું ત્યારે મિતાએ જણાવ્યું હતું કે સાસુ સસરા સતત ત્રાસ આપે છે અને કહે છે કે અમારે તો જોઈતી નથી તું મરી જા. આમકંટાળીને મિતાએ 21 નવેમ્બરે સવારે 9:30 વાગે સોલા બ્રિજ પાસેના રેલ્વે ટ્રેક પર 3 વર્ષના પુત્ર સાથે પડતું મૂકીને આપઘાત કરી લીધો છે.બોડકદેવ પોલીસે મિતાના આપઘાત માટે જવાબદાર તેના પતિ હસમુખ,સાસુ શારદા અને સસરા કનુ વિરુદ્ધમાં ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 2:55 pm

દહેગામ રોડ પર ડમ્પર-બાઇક અને બે બસનો અકસ્માત:ડમ્પરે બાઇકને અડફેટે લઈ ST બસને ટકકર મારતા પલ્ટી ગઈ, 40 મુસાફરોનો જીવ જોખમમાં મુકાયો હતો

દહેગામ રોડ ઉપર આવેલા સોલંકીપુરા ગામ નજીક આજે ઝાડ ટ્રીમિંગની કામગીરી દરમિયાન એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ડમ્પર ટ્રકના ચાલકે બેફામ ગતિએ આવીને પહેલા એક બાઇકને અડફેટે લીધું અને ત્યારબાદ કાબૂ ગુમાવીને બે બસોને ટકકર મારી હતી. આ ટક્કરના કારણે મોડાસા રૂટની બસ પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનામાં 40 જેટલા મુસાફરોનો જીવ જોખમમાં મુકાયો હતો. જોકે સ્થાનિકોએ સમયસૂચકતા વાપરી તમામ મુસાફરોને બસની બહાર કાઢી લીધા હતા. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. હાલમાં પોલીસે સ્થળ પર પહોંચી તપાસનો દોર હાથ ધર્યો છે. બાઈકચાલક ઓવરટેક કરવા જતાં ડમ્પરની અડફેટે ચડ્યોપ્રાપ્ત વિગતો મુજબ, દહેગામ-મોડાસા રૂટ પર સોલંકીપુરા ગામ નજીક સિંગલ પટ્ટી રોડ પર ઝાડ ટ્રીમિંગનું કામ ચાલી રહ્યું હતું. આ કામગીરીને કારણે રોડ પર ટ્રાફિક ધીમો પડતાં બે બસો ઊભી રહી હતી. આ દરમિયાન એક બાઇક ચાલકે ઉતાવળમાં ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર ટ્રકે પહેલા ઓવરટેક કરી રહેલા બાઇકને અડફેટે લીધું હતું. અકસ્માતના પગલે મુસાફરો ભરેલી બસ પલટી ખાઈ ગઈબાઇકને ટક્કર માર્યા બાદ ડમ્પરના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ સંપૂર્ણપણે ગુમાવી દીધો હતો. જેના લીધે ડમ્પરે રોડ સાઇડ ઊભેલી બે બસોને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે મોડાસા રૂટની મુસાફરોથી ભરેલી બસ પલટી ખાઈને રોડની બાજુમાં પડી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યાઆ અકસ્માતના પગલે મુસાફરોની ચીસાચીસથી માહોલ ગુંજી ઊઠ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઝડપથી બસમાં ફસાયેલા તમામ મુસાફરોને બહાર કાઢીને તેમનો જીવ બચાવ્યો હતો. આ અકસ્માતમાં મોટાભાગના મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્તોને જરૂરી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયાબીજી તરફ અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને જરૂરી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી શરૂ કરી હતી. ત્યારે દહેગામ પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે. 7 લોકોને પગ, નાક, છાતી અને કમરના ભાગે ઈજાઓઆ અંગે પોલીસે કહ્યું કે, દહેગામ રોડ પર સર્જાયેલી દુર્ઘટનામાં હાલુસિંહ બાબુસિંહ ઝાલા, જીતુભાઈ બી. પંડ્યા, યસ્મીનબાનુ, રહીમખાન અબ્દુલ પઠાણ, કૌશલ્યાબેન વેલજીભાઈ રોહિત, જ્યોતિબેન ચુનારા અને રસિકભાઈ ચુનારાને પગ, નાક, છાતી અને કમરના ભાગે ઈજાઓ પહોંચી છે. તમામને 108 દ્વારા સારવાર માટે ખસેડાયા છે. મોટાભાગના મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી છે, જ્યારે કેટલાકને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ અકસ્માત અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 2:43 pm

મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં BLOને મુશ્કેલી:બોટાદમાં અપૂરતી માહિતી અને સર્વર ડાઉનથી કામગીરીમાં અવરોધ

ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કામગીરી માટે બોટાદ જિલ્લામાં વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આજે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન વિવિધ મતદાન મથકો પર બૂથ લેવલ ઓફિસરો (BLO) દ્વારા આ કામગીરી કરવામાં આવી. જોકે, આ કામગીરી દરમિયાન BLOને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મતદારો તરફથી અપૂરતી માહિતી, ફોર્મમાં અધૂરી વિગતો અને નેટ સર્વર ડાઉન જેવી સમસ્યાઓને કારણે BLOમાં નારાજગી જોવા મળી હતી. BLOએ જણાવ્યું કે, તેમને મતદારો પાસેથી પૂરી માહિતી મળતી નથી અને ફોર્મ પણ અધૂરા ભરીને આપવામાં આવે છે. નેટ સર્વર ડાઉન રહેવાથી કામગીરીમાં અડચણ ઊભી થાય છે. તેમણે તંત્ર દ્વારા કામગીરીનું દબાણ વધુ હોવાનું પણ જણાવ્યું અને વધુ સમય આપવાની માંગ કરી જેથી તેઓ અસરકારક રીતે કામગીરી પૂર્ણ કરી શકે. આ મુશ્કેલીઓ વચ્ચે, બીજી તરફ મતદારોએ BLOની કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો છે. સ્થાનિક મતદારોએ જણાવ્યું કે, BLOની કામગીરી સારી છે અને તેઓ ફોર્મ ભરવામાં પણ મદદ કરે છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંગના તાલુકા અધ્યક્ષે પણ BLOની મુશ્કેલીઓને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે, મતદારો દ્વારા પૂરી માહિતી ન મળવી અને નેટ સર્વર ડાઉન રહેવું એ BLO માટે મોટી સમસ્યા છે. તેમણે સરકાર દ્વારા BLO માટે અલગ કેડર ઊભી કરવાની પણ માંગ કરી, કારણ કે આ કામગીરી બારે મહિના ચાલતી હોય છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 2:29 pm

અમરેલીના સાંસદ ભરત સુતરિયાનો વિરોધીઓ પર પ્રહાર કર્યાં:કહ્યું- 'ચૂંટણી સમયે મને ઘેરી લીધો હતો અને એવો આહાર કે સેવન કરાવી દીધો હતો, જે મેં ક્યારેય કર્યો નહોતો'

અમરેલીના સાંસદ ભરત સુતરિયાએ બાબરા નગરપાલિકા બિલ્ડીંગના લોકાર્પણ કાર્યક્રમમાં વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે લોકસભા ચૂંટણી દરમિયાન થયેલા વિરોધનો ઉલ્લેખ કરતા કહ્યું કે, હવે પછી વિરોધીઓએ સહન કરવાની શક્તિ રાખવી પડશે. લોકસભાની ચૂંટણી વખતે સાંસદ ભરત સુતરિયા પર વિરોધીઓએ આક્ષેપ કર્યો હતો કે, તેઓ એવા પ્રકારનો આહાર અને સેવન કરે છે. જેનો જવાબ આપતા સાંસદ ભરત સુતરિયાએ જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણી સમયે તેમને એટલો ઘેરી લેવામાં આવ્યા હતા કે, તેમને એવો આહાર અને સેવન કરાવી દીધો હતો જે તેમણે ક્યારેય કર્યો નહોતો. મે જિંદગીમાં જે વસ્તુ જોઈ ન હતી તેની સામે મને બેસાડી દીધો હતો. તેમણે ઉમેર્યું કે, હું ખેડૂતનો દીકરો છું, ખેડૂત ખેતી કરી જાણે છે અને લોકોને ભેળસેળવાળું નથી ખવડાવતા. સાંસદે શાયરીના અંદાજમાં વિરોધીઓને જવાબ આપતા જણાવ્યું કે, કયું ના મેં બદલું તુમ વહી હો ક્યાં, માના મેં ગલત હું તુમ સહી હો ક્યાં. તેમણે ભારપૂર્વક કહ્યું કે, હવે સહન કરવાની શક્તિ હોવી જોઈએ. ભરત સુતરિયાએ અમરેલી જિલ્લામાં થયેલા વિકાસ કાર્યોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે દાવો કર્યો કે, અત્યારે 2500 કરોડ રૂપિયાના વિકાસ કાર્યો થયા છે. હું ગમે ત્યાં જાવ છું, લોકો કહે છે કે અમરેલીમાં ભરપૂર વિકાસ દેખાય છે. તેમણે જિલ્લાના પાંચ ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખની ટીમ દ્વારા થયેલા સંયુક્ત પ્રયાસોને પણ બિરદાવ્યાં હતા. રાજય કક્ષાના મંત્રી કૌશીક વેકરીયાએ જણાવ્યું કે, વિકાસ માટે આપણે દેશી ભાષામાં કહીએ તો કોથળો ભરી દીધો છે, ગાસડી ખોલી દીધી છે એ પ્રકારની શરૂઆત છે. બાબરા નગરપાલિકામાં 47 કરોડના વિકાસના કામોના ખાતમૂર્હત અને કામો થયા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024ની લોકસભા ચૂંટણી સમયે ભાજપના નેતા અને પૂર્વ સાસંદ નારણ કાછડિયાની ટીકીટ કપાઈ જતા ભાજપમાં જ અંદરો અંદર વિવાદ થયો હતો. ભરત સુતરિયા ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યાં હતા. ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના નેતાઓએ ભરત સુતરિયાને જે તે વખતે આડે હાથ લીધા હતા. તેમનો અભ્યાસ, આહાર, વ્યસન સહિતના મુદ્દે આક્ષેપો કરાયા હતા. કેટલાક ગામડામાં ભરત સુતરીયાના વિરોધમાં કાર્યકરોએ બેનરો પણ લગાવ્યાં હતા. બાબરામાં આયોજીત કાર્યક્રમમાં ભરત સુતરિયાએ આ તમામ આક્ષેપોના જવાબો આપ્યા હતા. ગઈકાલે બાબરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે નગરપાલિકા બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદભરત સુતરિયા, ધારાસભ્ય જનક તળાવિયા, સ્થાનિક પદાધિકારીઓ અને જિલ્લા ભાજપના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બાબરા શહેરને આધુનિક નગરપાલિકા બિલ્ડીંગની ભેટ મળી છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 2:01 pm

તાંદલજામાં દફન કરાયેલો મૃતદેહ પાંચમાં દિવસે બહાર કાઢ્યો:પત્નીના મોબાઈલની તપાસ કરતા શંકા પડી, પત્નીએ પતિની હત્યા કરી હોવાનો પરિવારનો આક્ષેપ

વડોદરાના તાંદલજા વિસ્તારમાં વધુ એક સનસનાટીપૂર્ણ ચોકાવનારો બનાવ સામે આવ્યો છે, તાંદલજામાં દફન કરાયેલો એક પુરુષનો મૃતદેહ પાંચમાં દિવસે બહાર કાઢવામાં આવ્યો છે. મોબાઈલની તપાસ કરતા શંકા થઈ હતી. પત્નીએ પતિની હત્યા કરી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. મળતી માહિતી અનુસાર, 18 નવેમ્બરની રાત્રે 15થી 1 વાગ્યા વચ્ચે આ ઘટના બની હતી, જેમાં ઈર્શાદને પહેલા ઊંઘની ગોળીઓ આપીને બેહોશ કરવામાં આવ્યો હતો અને પછીગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી હોવાનો પરિવારનો આરોપ છે. જોકે, પરિવારજનોએ આકસ્મિક મોત થયું હોવાનું માનીને 19 નવેમ્બરના રોજ ઇર્શાદની દફનવિધિ પણ કરી દીધી હતી. મૃતકના પરિવારે આક્ષેપ કર્યો છે કે 32 વર્ષીય ઈર્શાદ વણઝારાની હત્યા તેની પત્ની ગુલબાનુએ મુંબઈ સ્થિત પોતાના મિત્ર તોસિફ અને અન્ય એક શખ્સ સાથે મળીને ષડયંત્ર રચીને કરી હતી. દફનવિધિ બાદ મૃતકના પરિવારને શંકા જતાં તેને પત્ની ગુલબાનુના મોબાઇલ ફોનની તપાસ કરી હતી. આ તપાસમાં તેમને જાણવા મળ્યું કે પત્ની ગુલબાનુએ સતત કોઈ એક જ નંબર પર લાંબા સમય સુધી ફોન કર્યા હતા, જેના કારણે તેમની શંકા વધુ ગાઢ બની હતી. આ શંકાના આધારે, હત્યાની સઘન તપાસ કરવા માટે પોલીસ અને મેજિસ્ટ્રેટની હાજરીમાં 32 વર્ષીય યુવકના મૃતદેહને કબરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. હાલમાં મૃતદેહને ગોત્રી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલાયો છે, જેની કાર્યવાહી ચાલી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને આગળની તપાસ બાદ જ આ સમગ્ર હત્યાના ષડયંત્રની હકીકત સામે આવશે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 1:23 pm

નવસારીના કાછીયાવાડીમાં દીપડો પાંજરે પુરાયો:ગ્રામજનોએ રાહત અનુભવી, દીપડાની હાજરીથી ગામમાં ભયનો માહોલ છવાયો હતો

નવસારી નજીકના કાછીયાવાડી ગામમાં ત્રણ દિવસથી દહેશત ફેલાવનાર એક દીપડો આખરે પાંજરે પુરાયો છે. આ ઘટનાથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રણ દિવસ પહેલા ગામની પાછળ આવેલા વાડી વિસ્તારમાં ગ્રામજનોએ દીપડાના આંટાફેરા જોયા હતા. દીપડાની હાજરીથી ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગના અધિકારીઓએ પરિસ્થિતિની ગંભીરતા પારખીને દીપડાને પકડવા માટે યોગ્ય સ્થળે પાંજરું ગોઠવ્યું હતું. ગત મોડી રાત્રે આશરે બે કલાકે આ દીપડો ગોઠવેલા પાંજરામાં ફસાયો હતો. દીપડો પાંજરે પુરાયાની જાણ થતાં જ વન વિભાગને ફરીથી જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને દીપડાનો કબજો લીધો હતો. દીપડાને સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ડાંગના જંગલોમાંથી દીપડાઓ શિકારની શોધમાં નવસારી જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારો તરફ આવવા માંડ્યા છે. અહીં શેરડી અને ડાંગરના ખેતરો, ચીકુ અને આંબાવાડીઓ, નદીઓ અને કોતરો તેમને રહેવા માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. આ વિસ્તારોમાં શિકાર પણ સરળતાથી મળી રહે છે, જેના કારણે દીપડાઓને ખેતરો અને વાડીઓ માફક આવી રહી છે. નવસારી જિલ્લો ખાસ કરીને તેમને માફક આવી ગયો છે. પૂર્વ પટ્ટીના ગામોમાં ઘણીવાર દીપડાઓ રસ્તાઓ, હાઇવે તેમજ ખેતરો કે ઘરની દિવાલો પર જોવા મળે છે. જંગલમાંથી ખેતરો અને વાડીઓમાં રહેતા શીખેલા આ દીપડાઓ હવે માનવવસ્તી સાથે રહેવાનું શીખી રહ્યા છે. જોકે, ગ્રામ્ય વિસ્તાર પણ હવે દીપડાઓ માટે ટૂંકો પડતા શહેરી વિસ્તાર તરફનું તેમનું સ્થળાંતર ચિંતા ઉપજાવનારું છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 1:09 pm

હિંમતનગરમાં નશામુક્ત યુવા વિકસિત ભારત માટે મેરાથોન દોડ:ધારાસભ્ય સહિત અગ્રણીઓએ ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રવિવારે 'નશામુક્ત યુવા વિકસિત ભારત' અંતર્ગત 'રન ફોર હેલ્થ' મેરાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ દ્વારા યોજાઈ હતી. હિંમતનગર માર્કેટયાર્ડ ખાતેથી ધારાસભ્ય વી.ડી. ઝાલાએ ફ્લેગ ઓફ કરાવી દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે હિંમતનગર નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય, RSS ગાંધીનગર વિભાગ સહ કાર્યવાહ જયેશભાઈ પટેલ, વિશ્વ હિંદુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંતમંત્રી નલીનભાઈ પટેલ, APMC માર્કેટયાર્ડ ચેરમેન જયેશ પટેલ, બજરંગ ઉત્તર ગુજરાત પ્રાંત સંયોજક ભાવિનભાઈ પુરોહિત, વિશ્વ હિંદુ પરિષદ વિભાગ મંત્રી દિપેશભાઇ પટેલ, હિંમતનગર કોચિંગ સેન્ટર એસોસિએશન ઉપપ્રમુખ પારસભાઈ મહેતા, ડૉ. કેવલ પટેલ અને જિલ્લા રમતગમત અધિકારી મહેશભાઈ ચૌધરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 'રન ફોર હેલ્થ' મેરાથોન માર્કેટયાર્ડથી શરૂ થઈ ખેડ તસિયા રોડ પર છાપરિયા ચાર રસ્તા અને મહાવીરનગર ચાર રસ્તા થઈને પરત માર્કેટયાર્ડ પહોંચી હતી. આ જાગૃતિ ફેલાવતી દોડમાં યુવાનો, દુર્ગા વાહિનીઓ, ટ્રાઈસિકલ સાથે વિકલાંગો, બ્રહ્માકુમારીઝના ભાઈઓ-બહેનો, SOG બ્રાન્ચના અધિકારીઓ અને પોલીસકર્મીઓ સહિત અનેક શહેરીજનો ઉત્સાહભેર જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 12:57 pm

અતુલભાઈ ચૌહાણની 192 કિમીની અનોખી દંડવત યાત્રા:ભાવનગરના બગદાણા ગામથી ચોટીલા ચામુંડા માતાજીના દર્શન માટે નીકળ્યા; 13મા દિવસે બોટાદમાં પ્રવેશ, ઠેર-ઠેર સ્વાગત

ભાવનગર જિલ્લાના બગદાણા ગામના ૫૨ વર્ષીય અતુલભાઈ ચૌહાણ ચોટીલા ચામુંડા માતાજીના દર્શન માટે 192 કિલોમીટરની અનોખી દંડવત યાત્રા પર નીકળ્યા છે. તેઓ માતાજી પ્રત્યેની નિસ્વાર્થ ભક્તિ વ્યક્ત કરવા માટે આ કઠિન યાત્રા કરી રહ્યા છે. અતુલભાઈએ 10નવેમ્બરના રોજ બગદાણા ગામથી આ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. તેમની આ યાત્રા કોઈ માનતા પૂર્ણ કરવા માટે નહીં, પરંતુ માતાજી પ્રત્યેની અડગ શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક છે. આજે તેમની યાત્રાનો ૧૩મો દિવસ હતો. આ દિવસે તેમણે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં પ્રવેશ કર્યો. ગઢાળી ગામે પહોંચતા સ્થાનિક રહેવાસી જુલીભાઈ ગોહિલ દ્વારા તેમની હોટેલમાં અતુલભાઈનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અતુલભાઈની આ તપસ્વી જેવી યાત્રા જોઈને લોકો તેમની શ્રદ્ધા અને હિંમતને બિરદાવી રહ્યા છે. રસ્તામાં આવતા દરેક ગામોમાં પણ લોકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ચોટીલા ચામુંડા માતાજી પ્રત્યેની તેમની આ અનોખી ભાવયાત્રા સૌનું ધ્યાન ખેંચી રહી છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 12:50 pm

ગાંધીનગરમાં 500 ગુનેગારોની યાદીનું વેરિફિકેશન પૂર્ણ, '100 કલાક'ના અલ્ટિમેટમની અસર:હથિયાર, ડ્રગ્સ, બનાવટી નોટો, UAPA ના આરોપીઓની ગતિવિધિનું ડોઝીઅર તૈયાર

તાજેતરમાં ગાંધીનગરમાં પકડાયેલા આતંકીઓ ,દિલ્હીમાં થયેલા બૉમ્બ ધડાકા સહિત રાજ્યમાં ઝડપાયેલા આતંકીઓની ઘટનાને પગલે ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ગુનેગારોનો ડેટાબેઝ અપડેટ કરવા માટે તમામ જિલ્લા પોલીસ વડાને છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્ર વિરોધી ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની વિગતવાર યાદી 100 કલાકમાં તૈયાર કરવાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. જે અન્વયે ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા ગંભીર ગુનાના 500 આરોપીઓનું વેરીફીકેશન હાથ ધરીને 100 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. 500 આરોપીઓનું વેરીફીકેશન હાથ ધરીને 100 ટકા કામગીરી પૂર્ણગાંધીનગરમાં 8મી નવેમ્બરે ત્રણ આતંકીઓ ઝડપાયા બાદ દિલ્હીમાં કાર બ્લાસ્ટ અને ફરિદાબાદમાં આતંક વિરોધી કાર્યવાહી જેવી ઘટનાઓ સામે આવી હતી. આથી, ગુજરાતમાં આ પ્રકારની પ્રવૃત્તિને મૂળમાંથી ડામવા અને રાષ્ટ્ર વિરોધી તત્ત્વોના નેટવર્કનો ડેટાબેઝ અપડેટ કરવાના ઉદ્દેશ્યથી રાજ્ય પોલીસ વડાએ તમામ શહેર અને જિલ્લા પોલીસ વડાઓને તાત્કાલિક અસરથી એલર્ટ કરીને એક મોટા ડોઝીઅર તૈયાર કરવા માટે 100 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. જેમાં હથિયાર ધારા, NDPS, વિસ્ફોટક સામગ્રી, બનાવટી નોટો, ટાડા, પોટા, UAPA અને MCOCA જેવા ગંભીર ગુનાઓ સાથે સંકળાયેલા આરોપીઓનો લેટેસ્ટ ડેઝા બેઝ રેડી કરવા ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. '100 કલાક'ના અલ્ટિમેટમની અસર, સંપૂર્ણ ડોઝીઅર તૈયારજે અન્વયે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના સુપરવિઝન હેઠળ તાબાના થાણા અધિકારીઓએ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સાથે સંકલન સાધીને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને 100 ટકા કામગીરી પૂર્ણ કરી દીધી છે. છેલ્લા 30 વર્ષમાં જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓના ગુનામાં પકડાયેલા આરોપીઓની વિગતોનું ચેકિંગ અને વેરિફિકેશન કરીને સંપૂર્ણ ડોઝીઅર તૈયાર કરી દેવાઇ છે. 500 જેટલા ગુનેગારોની યાદી તૈયારજિલ્લા પોલીસે જુદા જુદા પોલીસ મથકોની હદ વિસ્તારમાંથી કુલ 500 જેટલા ગુનેગારોની યાદી તૈયાર કરી તેમની અત્યારની પ્રવૃત્તિઓનું વેરિફિકેશન કર્યું છે.પોલીસ ટીમો દ્વારા આ તમામ આરોપીઓના હાલના સરનામાં, નોકરી-ધંધા, પરિવારના સભ્યો, બેંક ડિટેઇલ, સોશિયલ મીડિયા એકાઉન્ટ સહિતની તમામ બાબતોનું રૂબરૂ જઈને વેરિફિકેશન કરી લેવામાં આવ્યું છે. ડોઝિયરમાં આ વિગતો આરોપી પાસેથી લેવાઈઆ અંગે જિલ્લા પોલીસના વિશ્વસનીય સુત્રોએ જણાવ્યું કે, ડોઝિયરની SOP મુજબ,આરોપી હાલમાં કેવો દેખાય છે (લેટેસ્ટ ફોટો અને શારીરિક ડીટેઈલ), તેની પાસે કેટલી અને ક્યાં–ક્યાં પ્રોપર્ટી છે, આરોપી ક્યાં રહે છે અને હાલમાં ક્યાં–ક્યાં અવરજવર કરે છે, કોની સાથે મળે છે અને કોના સંપર્કમાં રહે છે, ભૂતકાળના તમામ ગુનાઓની યાદી તેમજ આરોપીની ગેંગ લિંક્સની માહિતી એકત્ર કરવામાં આવી છે. રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સંડોવાયેલા આરોપીઓની તપાસરાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સબબ જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા જેમ કે,NDPS ના 150 ગુનેગારો, આર્મ્સ એક્ટના 225 ગુનેગારો, પાસાના 10 ગુનેગારો, પોટા MCOCA ના 10 ગુનેગારોનો લેટેસ્ટ ડેટાબેઝ તૈયાર કરી દેવાયો છે. એજ રીતે આવા અન્ય 100 ગુનેગારો પરપ્રાંતીયો હોવાથી જેતે રાજ્યને SOP ગાઇડલાઇન મુજબ જરૂરી આધાર પુરાવા સાથે યાદી મોકલી દેવામાં આવી છે. મહત્વનું છેકે આ ડેટાબેઝ થકી લોકલ પોલીસની ટીમ તેમના વિસ્તારમાં રહેતા આવા ગંભીર ગુનાના કે દેશવિરોધી પ્રવૃત્તિમાં જોડાયેલા આરોપીઓ ઉપર મેન્ટોર પ્રોજેક્ટ હેઠળ ખાસ બાઝ નજર રાખશે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 12:47 pm

વેસુમાં થારમાં અચાનક આગ ફાટી નીકળી:કારમાં સવાર બે યુવક બહાર નીકળી જતા બચાવ, એન્જિન-બોનેટ બળીને ખાખ, ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી

વાહનોમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાના બનાવો અવારનવાર બનતા હોય છે. આવો જ એક બનાવ સુરતના વેસુ વિસ્તારમાં મોડી રાત્રે બન્યો હતો, જ્યાં એક મહિન્દ્રા થાર ગાડીમાં અચાનક આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ હતી. કારમાં આગ લાગી ત્યારે બે યુવક સવાર હતા. જે સમયસુચકતા વાપરીને બહાર નીકળી જતા બચાવ થયો હતો. સુરતના વેસુ વિસ્તારમાં મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. એક મહિન્દ્રા થાર ગાડી જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહી હતી, તે દરમિયાન અચાનક તેમાં આગ લાગી ગઈ હતી. ગાડીમાં તે સમયે બે વ્યક્તિઓ સવાર હતા. આગ લાગવાની જાણ થતાં જ ગાડીમાં સવાર બંને વ્યક્તિઓ તાત્કાલિક બહાર નીકળી ગયા હતા, જેના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ થતાં ટળી ગઈ હતી. જોકે, આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં ગાડીના આગળના ભાગ (બોનેટ)ને સંપૂર્ણપણે લપેટમાં લઈ લીધી હતી. ગણતરીની મિનિટોમાં જ આગ કાબૂમાં લેવાઈવાહન સળગતું જોઈને આસપાસના સ્થાનિકોનું મોટું ટોળું ઘટનાસ્થળે એકઠું થઈ ગયું હતું. લોકોમાં ભય સાથે કુતૂહલ જોવા મળ્યું હતું. બનાવની જાણ થતાં જ વેસુ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ કોઈપણ વિલંબ કર્યા વિના પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. તેમની ત્વરિત અને અસરકારક કામગીરીને કારણે ગણતરીની મિનિટોમાં જ આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો. બોનેટ અને એન્જિનનો ભાગ સંપૂર્ણપણે બળીને ખાખઆ દુર્ઘટનામાં ગાડીનું બોનેટ અને એન્જિનનો ભાગ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો. જોકે, અન્ય કોઈ નુકસાન કે જાનહાનિ થઈ ન હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વાહનોમાં ઇલેક્ટ્રિકલ વાયરિંગમાં ખામી કે ઓવરલોડના કારણે શોર્ટ સર્કિટ થતાં આગ લાગવાના બનાવો સામાન્ય રીતે જોવા મળે છે. સમગ્ર ઘટનાએ વેસુ વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક અને ઉત્તેજનાનો માહોલ સર્જ્યો હતો.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 12:39 pm

હિંમતનગરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા શાંતિ પદયાત્રા યોજાઈ:શાંતિ સરોવરથી શરૂ થઈ, વિવિધ વિસ્તારોમાં ફરી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા આજે સવારે શાંતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બેરણા રોડ પર આવેલા બ્રહ્માકુમારીઝ શાંતિ સરોવર ખાતેથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો અને વિસ્તારના માર્ગો પર ફરીને શાંતિ સરોવર ખાતે જ તેનું સમાપન થયું હતું. આ પદયાત્રા બ્રહ્માકુમારીઝ ગુજરાતના ડાયમંડ જ્યુબિલી વર્ષ 2025 હિરક જયંતિ મહોત્સવ અંતર્ગત શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહના ભાગરૂપે યોજાઈ હતી. વિશ્વમાં શાંતિમય સંસારના નિર્માણના હેતુથી રવિવારે સમગ્ર રાજ્યમાં શાંતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હિંમતનગર બ્રહ્માકુમારીઝ સેવાકેન્દ્ર-સબઝોનના ઇન્ચાર્જ રાજયોગિની બીકે જ્યોતિદીદીના નેતૃત્વ હેઠળ આ પદયાત્રામાં 12 જુદા જુદા સેન્ટર અને લગભગ 150 બ્રહ્માકુમારીઝ પાઠશાળાઓના શ્વેત વસ્ત્રધારી રાજયોગી ભાઈ-બહેનો એક જ દિવસે અને એક જ સમયે મૌનના મંત્ર સાથે શાંતિદૂત બનીને જોડાયા હતા. આ યાત્રા વ્યસનમુક્તિ અને શાંતિદાનના સંકલ્પ સાથે નવનિર્મિત બ્રહ્માકુમારીઝ શાંતિ સરોવરથી પ્રસ્થાન કરીને યશસ્વી બંગલોઝ, વિરાટનગર, દેવભૂમિ સોસાયટીઓ થઈને બલવંતપુરાકંપા વિસ્તારમાં ફરીને શાંતિ સરોવર ખાતે પૂર્ણ થઈ હતી. આ શાંતિ પદયાત્રાને સાબરકાંઠા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા વડા મિત્તેશભાઈ સુથાર, વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી હિતેશભાઈ પટેલ અને નલિનભાઈ પટેલ, તેમજ બજરંગ દળના રાજ કનોજીયા અને અન્ય જિલ્લા કક્ષાના હોદ્દેદારોએ ઉપસ્થિત રહીને પ્રસ્થાન કરાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 12:06 pm

કોન્ટ્રાકટ પ્રથા બંધ કરવા અનોખો વિરોધ:રાજકોટનાં માંડા ડુંગર પાસે કામદાર યુનિયનનાં સભ્યો દ્વારા સફાઈ કરીને ન્યાય આપવાની માંગ, કોન્ટ્રાકટ પર રહેલા સફાઇકર્મીઓને કાયમી કરવા અપીલ

રાજકોટ કામદાર યુનિયન દ્વારા મહાનગરપાલિકામાં પ્રવર્તતી કોન્ટ્રાક્ટ પ્રથામાં થતા વ્યાપક કૌભાંડો અને ગેરરીતિઓ સામે હવે સફાઈ સાથે વિરોધ પ્રદર્શનનું અનોખું આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. વોર્ડ નં. 6B, માંડા ડુંગર વિસ્તારથી શરૂ થયેલા આ આંદોલનમાં યુનિયનના તમામ આગેવાનો અને સમર્પિત કામદારોએ રસ્તા ઉપર ઉતરીને પોતાના હક માટે અવાજ ઉઠાવ્યો હતો. આ કામદારોએ 'જય ભીમ'નો ખેસ પહેરીને સફાઈ કરી હતી. અને કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરી જીવનાં જોખમે કામ કરતા સફાઈ કામદારોને કાયમી કરવા માંગ કરી હતી યુનિયનના પ્રમુખ પારસ બેડિયા અને આગેવાન ટીમે માત્ર નારા લગાવવાની પરંપરાગત રીતને બદલે એક પાયાનું કાર્ય કરીને પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો. આ દરમિયાન તેમણે વોર્ડ નં. 6/Bના માંડા ડુંગર વિસ્તારમાં પોતે જમીન પર ઉતરીને સફાઈ કામ કર્યું હતું. આ ક્રિયા દ્વારા તેમણે સામાન્ય નાગરિકો સમક્ષ કડવી વાસ્તવિકતા મૂકી કે રોજના સફાઈ કામદારો કઈ રીતે ન્યૂનતમ સન્માન અને અધિકારો વિના પણ આકરી મહેનત કરીને શહેરને સ્વચ્છ રાખે છે. આ પ્રદર્શનનો ઉદ્દેશ તેમની રોજીંદી વેદના અને જીવનની મુશ્કેલીઓ લોકોને સ્પષ્ટ રીતે દર્શાવવાનો હતો. પ્રમુખ પારસ બેડિયાએ સફાઈ અનુભવ અંગે પોતાના લાગણીસભર વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું કે માત્ર 10 મિનિટ સફાઈનું કામ કરવાથી જ તેમની કમર દુખવા લાગી હતી, ત્યારે તેમણે પ્રશ્ન કર્યો કે જે કામદારો રોજના 2 થી 3 કલાક કે તેથી વધુ સમય સુધી આ જ કામ કરે છે, તેમની શારીરિક અને માનસિક સ્થિતિ કેવી હશે? આ કામ માત્ર 'નાટક' નથી, પરંતુ કામદારોની અવાજ વગરની વેદનાને સમાજ અને વહીવટી તંત્ર સુધી પહોંચાડવાનું એક માધ્યમ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સફાઈ કામદારો ગંદકીના વાતાવરણમાં કામ કરીને શ્વાસના ગંભીર રોગોનો ભોગ બને છે. તેઓ પોતાના જીવના જોખમે દેશના નાગરિકોને અંદરના રોગોથી બચાવે છે, છતાં તેમની મહેનતનું યોગ્ય વળતર તેમને આપવામાં આવતું નથી. એક જ કામ માટે કોઈ કામદારને રૂ. 6,000નો નજીવો પગાર ચૂકવવામાં આવે અને તે જગ્યાએ અન્ય કોઈને રૂ. 50,000 જેટલો ઊંચો પગાર મળતો હોય, તે મોટો અન્યાય છે અને આ કોન્ટ્રાક્ટ પ્રથાની ખામી છે. આ પગારનો મોટો તફાવત કામદારોનું શોષણ અને ગેરરીતિઓ તરફ ઈશારો કરે છે. યુનિયનના પ્રમુખે રાજકોટ મહાપાલિકા અને ગુજરાત સરકાર સમક્ષ એક સ્પષ્ટ અપેક્ષા વ્યક્ત કરતા જણાવ્યું કે કોન્ટ્રાક્ટ પ્રથાના દૂષણને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે અને સફાઈ કામદારોને તેમનો સાચો અને સંપૂર્ણ ન્યાય મળી રહે તે માટે, કોન્ટ્રાક્ટમાં કામ કરતા તમામ સફાઈ કામદારોને તેમની જ જગ્યાએ કાયમી ધોરણે નિમણૂક આપવામાં આવે તે અનિવાર્ય છે. કાયમી નિમણૂકથી જ તેમનું શોષણ અટકશે, તેમને સામાજિક સુરક્ષા મળશે અને તેઓ ગૌરવ સાથે પોતાનું જીવન જીવી શકશે. ઉલ્લેખનીય છે કે, વોર્ડ 6/Bથી શરૂ થયેલું આ 'સફાઈ સાથે વિરોધ'નું અભિયાન હવે રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં ફેલાવવામાં આવશે. યુનિયન દ્વારા ઝુંબેશને શહેરભરમાં એક મુખ્ય સૂત્ર હેઠળ લઈ જવામાં આવશે. આ સૂત્ર છે કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરો — કામદારોને ન્યાય અપાવો. યુનિયનનો નિર્ધાર છે કે જ્યાં સુધી કામદારોને કાયમી નિમણૂક અને યોગ્ય પગારનો ન્યાય નહીં મળે, ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. ત્યારે આ આંદોલન બાદ તંત્ર દ્વારા સફાઈ કામદારો અંગે ક્યારે અને શું નિર્ણય લેવાય છે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 11:57 am

મોરબીમાં લગ્નના ત્રીજા દિવસે દુલ્હન ફરાર:અમદાવાદની યુવતીએ 3 લાખની છેતરપિંડી કરી, પિતાએ ફરિયાદ નોંધાવી

મોરબી શહેરમાં લુટેરી દુલ્હન દ્વારા છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. એક યુવકના લગ્ન કરાવ્યા બાદ અમદાવાદની યુવતી લગ્નના ત્રીજા જ દિવસે ફરાર થઈ ગઈ હતી. આ ઘટનામાં યુવકના પિતા પાસેથી લગ્નના નામે ત્રણ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. ભોગ બનેલા યુવકના પિતાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પ્રભુ કૃપા રેસીડેન્સી, રોયલ પાર્ક, મહેન્દ્રનગર ગ્રામ, મોરબી ખાતે રહેતા 55 વર્ષીય સુંદરજીભાઈ દેવજીભાઈ જસાપરાએ આ અંગે રાજુભાઈ તન્ના અને ચાંદની (બંને રહે. અમદાવાદ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સુંદરજીભાઈ તેમના પુત્ર રાહુલના લગ્ન કરાવવા માંગતા હતા, તે દરમિયાન તેમનો સંપર્ક અમદાવાદના રાજુભાઈ તન્ના સાથે થયો હતો. રાજુભાઈ તન્નાએ ચાંદની નામની યુવતી સાથે રાહુલના લગ્ન અમદાવાદ ખાતે રજિસ્ટ્રાર કચેરીમાં કરાવ્યા હતા. આ લગ્ન પેટે સુંદરજીભાઈ પાસેથી ત્રણ લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. લગ્ન બાદ ચાંદની માત્ર ત્રણ દિવસ સુધી સુંદરજીભાઈના ઘરે તેમના પુત્ર રાહુલ સાથે રોકાઈ હતી. ત્યારબાદ, તેણે પોતાના પિતાનું અવસાન થયું હોવાનું બહાનું કાઢીને ઘર છોડી દીધું હતું અને ત્યારથી તે પરત આવી નથી. આમ, પુત્રના લગ્ન કરાવી દેવાનું કહીને વૃદ્ધ સુંદરજીભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હતી. સુંદરજીભાઈની ફરિયાદના આધારે મોરબી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે. આ કેસની વધુ તપાસ પી.એસ.આઇ. બી.એ. ગઢવી ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 11:45 am

રાજકોટમાં વધુ એક હત્યા:ભગવતીપરામાંથી મહિલાનો મૃતદેહ મળ્યો, તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાઈ હોવાની આશંકા

રાજકોટના ભગવતીપરા વિસ્તારમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. હત્યાની જાણ થતાં બી-ડિવિઝન પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યાં છીએ...

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 11:33 am

યુવતી સહિત 3 ગુજરાતીઓ જાકાર્તામાં ફસાયા:3 દિવસથી હોટલમાં ગોંધી રખાયા, પરિવાર પાસે 18 લાખ રૂપિયાની ખંડણી માંગી

ઇરાનમાં ગુજરાતીઓનું કિડનેપિંગ થયાની ઘટના હજુ તાજી છે ત્યાં જ જાકાર્તા ફરવા ગયેલા ત્રણ ગુજરાતીઓ ફસાયા હોવાનો મામલો સામે આવ્યો છે. શુક્રવારથી આ ત્રણેયને એક હોટલમાં ગોંધી રખાયા છે અને છોડવા માટે પરિવાર પાસે 18 લાખ રૂપિયાની ખંડણી માંગી છે. આ ત્રણેય અમદાવાદના છે અને મંગળવારે ફરવા માટે ગયા હતા. અમદાવાદના નિસર્ગ (નામ બદલેલું છે) નામના યુવાનના તાજેતરમાં જ લગ્ન થયા હતા. તે પત્નીને લઇ હનીમૂન માટે જાકાર્તા અને બાલી જવાનો હતો. આ દરમિયાન તેની સાથે બીજો એક યુવાન સૌમિલ (નામ બદલેલું છે) પણ જોડાયો હતો. જાકાર્તા જતાં પહેલાં સૌમિલના મોટાભાઇએ પ્રવીણ શર્મા નામના એક એજન્ટનો કોન્ટેક્ટ નંબર આપ્યો હતો અને હોટલ બુકિંગ માટે તેમને મળવાનું કહ્યું હતું. એજન્ટે હોટલની વ્યવસ્થા કરી આપી18મી તારીખે ત્રણેય જાકાર્તા એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાં 35 ડોલર આપીને વિઝા ઓન અરાઇવલ લીધા હતા. એરપોર્ટથી જ આ લોકોએ પ્રવીણ શર્માને ફોન કર્યો હતો. જેથી પ્રવીણે તેમને હોટલની વિગતો મોકલી હતી. બાદમાં ત્રણેય ટેક્સી કરીને હોટલ પહોંચ્યા હતા. હોટલમાં ત્રણેયને રહેવા માટે એક જ રૂમ અપાયો હતો. હોટલમાં વાઇફાઇ સહિતની સુવિધા સારી ન હોવાથી તેમણે બુધવારે પ્રવીણને હોટલ બદલવા માટે કહ્યું હતું. જેથી પ્રવીણે તેમને અન્ય રૂમમાં જવાનું કહ્યું હતું પરંતુ હોટલવાળાએ બીજો રૂમ આપ્યો નહોતો. એજન્ટે ઓસ્ટ્રેલિયાના નકલી વિઝા મોકલ્યાગુરૂવારે પ્રવીણ શર્મા અને આ ત્રણેય ગુજરાતીઓની મુલાકાત થઇ હતી. જેમાં પ્રવીણે તેમને ઓસ્ટ્રેલિયા મોકલવાની ઓફર કરી હતી પરંતુ ત્રણેયે ઇન્કાર કરી દીધો હતો. તેમ છતાં પ્રવીણે ઓસ્ટ્રેલિયાના નકલી વિઝા બનાવી વોટ્સએપમાં મોકલી દીધા હતા. આ દરમિયાન શુક્રવારે બપોરે 12 વાગ્યે તેમની હોટલમાં એક અજાણ્યો શખસ આવ્યો હતો અને પોતાની ઓળખ ઇમિગ્રેશન ઓફિસર તરીકે આપી હતી અને ત્રણેયના પાસપોર્ટ માંગ્યા હતા. જેથી નિસર્ગ અને તેની પત્નીએ પાસપોર્ટ આપી દીધો હતો પણ સૌમિલે એ શખસને સામે પૂછ્યું હતું કે તમારે પાસપોર્ટનું શું કામ છે.આના પછી તેમની વચ્ચે બોલાચાલી થઇ હતી અને પછી ઝપાઝપી પણ થઇ. જેથી સૌમિલે હોટલની સિક્યોરિટી પાસે જઇને પોલીસને ફોન કરવા દેવાનું કહ્યું હતું પણ તેને ફોન કરવા દેવાયો નહોતો. ઇમિગ્રેશન ઓફિસરે પાસપોર્ટ જપ્ત કરી લીધાજેના પછી એ શખસે નિસર્ગ અને તેની પત્નીનો પાસપોર્ટ જપ્ત કરી લીધો હતો. બાદમાં એ શખસે અન્ય લોકોને બોલાવી સૌમિલના હાથ બાંધી દીધા હતા અને ત્રણેયને જાકાર્તાની ઇમિગ્રેશન ઓફિસમાં લઇ ગયા હતા. જ્યાં નિસર્ગ અને તેની પત્નીને અલગ રાખ્યા હતા. જ્યારે સૌમિલને લોકઅપમાં રાખ્યો હતો. લોકઅપમાં સૌમિલને માર મારીને કરંટ અપાયો હતો. અહીં ત્રણેયના મોબાઇલ પણ જપ્ત કરી લેવાયા હતા. જેમાં પ્રવીણ શર્માએ મોકલેલા ઓસ્ટ્રેલિયાના નકલી વિઝા મળ્યાં હતા. જેથી આ મામલે પણ તેમની પૂછપરછ થઇ હતી અને ઓસ્ટ્રેલિયા જવા માટે જાકાર્તા આવ્યા હોવાનું કાગળ પર લખાવી તેમની સહી કરાવી લીધી હતી. સાતેક કલાક રખાયા બાદ તેમને હોટલમાં મોકલી દેવાયા હતા. હાલમાં ત્રણેયને ઇસ્ટ જાકાર્તાની એક હોટલમાં રખાયા છે અને નવી સૂચના ન મળે ત્યાં સુધી હોટલ બદલવાની મનાઇ કરી છે. 18 લાખ રૂપિયાની ખંડણી માગીસૌમિલે જ્યારે આ અંગે પોતાના ભાઇને વાત કરી ત્યારે ખબર પડી કે હકીકતમાં પ્રવીણ શર્મા વોન્ટેડ છે. તેમની સાથે જાકાર્તામાં જે-જે ઘટના બની છે તેની પાછળ પ્રવીણ શર્માનો જ હાથ છે. સૂત્રોનું માનીએ તો પ્રવીણ શર્મા અને તેના મળતિયાઓએ નિસર્ગ, તેની પત્ની અને સૌમિલને છોડવા માટે તેમના પરિવાર પાસેથી 18 લાખ રૂપિયા માંગ્યા છે. આ સમગ્ર મામલો હવે જાકાર્તાના ભારતીય દૂતાવાસમાં પહોંચ્યો છે. સૌમિલના ભાઇએ શુક્રવારે ભારતીય દૂતાવાસને ઇમેલ કરી ઘટનાની જાણ કરી છે. ભારતીય દૂતાવાસને કરેલો ઇમેલમારો ભાઇ અને તેના મિત્રો મંગળવારે પ્રવીણ શર્મા નામના એજન્ટ દ્વારા જાકાર્તા પહોંચ્યા હતા. તેઓ એક હોટલમાં રોકાયા હતા પરંતુ આજે એજન્ટે ઇમિગ્રેશન ઓફિસરને તેમની હોટલ પર મોકલ્યા હતા. ઓફિસર તેમને ક્લાસ-1 ઇમિગ્રેશન ઓફિસ, ઉત્તર જાકાર્તા ખાતે લઇ ગયા હતા. હોટલ છોડતા પહેલા મારા ભાઇએ મને લાઈવ લોકેશન મોકલ્યું હતું. અમને મળી એ માહિતી અનુસાર એજન્ટે મારા ભાઇ અને તેના મિત્રોને તેમના ફોન પર નકલી ડોક્યુમેન્ટ્સ મોકલીને ફસાવ્યા છે. અમે સવારથી જ તેમને કોલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ વાત નથી કરી શક્યા. મહેરબાની કરીને અમારી મદદ કરશો.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 11:26 am

SIRની કામગીરી દરમિયાન બેસવા બાબતે વિવાદ:ભાજપના બુથ પ્રમુખે SIRની ઇલેક્શનનું ફોર્મ ભરાવા આવેલા મતદારોને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી, સામ-સામે ફરિયાદ

દેશભરમાં અત્યારે SIRની કામગીરી ચાલી રહી છે, ત્યારે આંબાવાડીમાં આવેલી સહજાનંદ કોલેજમાં ભાજપના બુથ પ્રમુખ SIRની કામગીરી દરમિયાન સાથે બેઠા હતા. બુથ પ્રમુખ તેમની જગ્યાએથી ઊભા થયા ત્યારે એક વ્યક્તિ તેમની જગ્યા પર બેસી ગયા હતા. આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારે બુથ પ્રમુખે મહિલા અને તેમના પતિને ગાળો આપી જાનથી મારી દેવાની ધમકી આપી દીધી હોવાની ફરિયાદ નોંધાઈ છે. બુથ પ્રમુખે પણ મહિલા અને તેમના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સેટેલાઈટ પોલીસે બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. ભાજપ પ્રમુખે ફરિયાદીના પતિને પાછળથી ઝાપટ મારીઆંબાવાડીમાં રહેતા ધારિણીબેન શાહે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ તેમના પતિ સાથે સહજાનંદ કોલેજમાં ઇલેક્શનનું ફોર્મ ભરવા માટે ગયા હતા. આ દરમિયાન BLO મનોજભાઈ બેઠા હતા અને મનોજભાઈની સાથે શ્રીરામ મોદી પણ બેઠા હતા. શ્રીરામ મોદી તેમની જગ્યા પરથી ઉભા થયા ત્યારે તેમની જગ્યા પર ધારીનીબેનના પતિ મનીષભાઈ બેસી ગયા હતા. મનીષભાઈ બેઠા ત્યારે શ્રીરામ મોદીએ તમને પાછળથી ઝાપટ મારી દીધી હતી જેથી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. 'મારા ભાઈ-ભાભી વકીલ છે તો મારું કંઈ બગાડી નહીં શકે'આ દરમિયાન શ્રી રામ મોદીએ ગાળો આપી હતી, જેથી ધારીનીબેને કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો. ત્યારે શ્રીરામ મોદીએ કહ્યું હતું કે, તારે જે કરવું હોય તે કર પોલીસ મારું કાંઈ નહીં બગાડી શકે. જો તું પોલીસ સ્ટેશન જઈશ તો હું તારા પતિને ચાર પાંચ દિવસમાં ગાડીથી મરાવી નાખીશ. મારા ભાઈ-ભાભી વકીલ છે તો મારું કંઈ બગાડી નહીં શકે. શ્રીરામ મોદીએ ધારીનીબેનને પણ એકલી મળીશ તો જાનથી મારી નાખીશ ધમકી આપી હતી. આ અંગે ધારીનીબેને સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ભાજપ પ્રમુખ ઉભા થયા તો તેમની જગ્યાએ એક વ્યક્તિ બેસી ગયોબીજી તરફ ભાજપના બુથ નંબર 15ના બુથ પ્રમુખ શ્રીરામ મોદીએ પણ સેટેલાઈટ પોલીસે ફરિયાદ નોંધાવી છે કે, તેઓ સહજાનંદ કોલેજમાં ઇલેક્શનની કામગીરીમાં મદદરૂપ થવા માટે બેઠા હતા અને તેમની ખુરશી પરથી ઉભા થયા ત્યારે તેમની જગ્યાએ મનીષાભાઈ નામનો વ્યક્તિ બેસી ગયો હતો. મનીષભાઈને ઉભા થવાનું કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન મનીષભાઈના પત્ની ધારીનીબેને શ્રીરામ મોદીને છુટ્ટું ચપ્પલ માર્યું હતું. ભાજપ પ્રમુખને હાથ-પગ તોડાવી છેડતીના કેસમાં ફસાવાની ધમકી આપીશ્રીરામ મોદી જ્યાં બેઠા હતા ત્યાં ધારીનીબેન અને તેના પતિ એક્ટિવા લઈને પહોંચ્યા અને ગાળો આપી હતી અને કહ્યું હતું કે, તું મને ઓળખો નથી તારા હાથ પગ તોડાવી નાખીશ અને ક્યાંય ખોવાઈ જઈશ. ધારીનીબેને શ્રીરામ મોદીને ધમકી આપી હતી કે, છેડતીના ખોટા કેસમાં ફસાવી જેલ ભેગો કરાવી દઈશ. જેથી શ્રીરામ મોદીએ ધારિની શાહ અને તેમના પતિ મનીષ શાહ વિરુદ્ધ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 11:24 am

સુરતમાં ચાર શ્વાનનો 5 વર્ષના બાળક પર જીવલેણ હુમલો:માથું ફાડી નાખ્યું, શરીર પર 20થી વધુ ઇજાઓ, હાલત ગંભીર

સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત્ જોવા મળી રહ્યો છે. શહેરના સચિન વિસ્તારમાં એક અત્યંત કરુણ અને ગંભીર બનાવ સામે આવ્યો છે, જ્યાં 5 વર્ષના એક માસૂમ બાળક પર 4થી 5 જેટલાં શ્વાનોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. માથા સહિત શરીર પર 20થી વધુ ઈજાના નિશાનો છે. હાલ બાળકની હાલત ગંભીર છે. શ્વાનના ટોળાએ 5 વર્ષીય બાળક પર જીવલેણ હુમલો કર્યોમળતી માહિતી અનુસાર, સચિન વિસ્તારમાં 5 વર્ષીય બાળક શીવાય રાજેશ પ્રજાપતિ પરિવાર સાથે રહે છે. આજે શિવાય તેના પિતા રાજેશ પ્રજાપતિ સાથે સચિન વિસ્તારમાં આવેલા ઈકો ડાયમંડ પાર્ક પાસે આવેલી કંપની નજીક ગયો હતો. કંપનીની બહારના ભાગમાં જ અચાનક 4 કે તેથી વધુ શ્વાનોના ટોળાએ આ બાળક પર હુમલો કરી દીધો હતો. માથું ગંભીર રીતે ફાડી નાખ્યું, 20થી વધુ ગંભીર ઇજાઓશ્વાનોએ બાળકને ફાડી ખાવાનો પ્રયાસ કર્યો અને તેનું આખું માથું ગંભીર રીતે ફાડી નાખ્યું હતું. બાળકના શરીરના અન્ય ભાગો પર પણ શ્વાનોએ બચકાં ભર્યા હતા, જેના કારણે તેને 20થી વધુ ગંભીર ઇજાઓ પહોંચી છે. બાળક પર હુમલો થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહામહેનતે શ્વાનોની ચુંગાલમાંથી બાળકને છોડાવ્યો હતો. બાળકની હાલત અત્યંત ગંભીર​​​​​​​લોહીલુહાણ હાલતમાં સિવાયને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તબીબોના જણાવ્યા મુજબ, બાળકનું માથું ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હોવાથી તેની હાલત અત્યંત ગંભીર છે. આ બનાવને પગલે પરિવારમાં શોક અને માતમનો માહોલ છવાયો છે. શહેરમાં રખડતા શ્વાનોના હુમલાના બનાવો સતત વધી રહ્યા છે, અનેક માસૂમ બાળકો શ્વાનનો શિકાર બની ચૂક્યા છે. આ ગંભીર બનાવ બાદ ફરી એકવાર સુરત મહાનગરપાલિકાની શ્વાન નિયંત્રણની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિકોએ માગ કરી છે કે તંત્ર દ્વારા રખડતા શ્વાનોના ત્રાસને ડામવા માટે નક્કર અને કડક પગલાં લેવામાં આવે. અમે સમાચાર સતત અપડેટ કરી રહ્યા છીએ...... અમદાવાદમાં રખડતા શ્વાનનો આતંક, CCTV:PGમાં રહેતો યુવક એક્ટિવા પાર્ક કરતો તો ને બચકુ ભર્યું, એક જ દિવસમાં 8 લોકોને કરડ્યુંઅમદાવાદના પાલડી વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. મંગળવારે (18 નવેમ્બર) એક જ શ્વાને હીરાબાગ ક્રોસિંગ પાસે અને શારદા મંદિર રોડ પર 5થી વધુ વ્યક્તિઓને કરડી નાખ્યા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. આમાંથી એક ઘટના PGમાં રહેતા યુવક પર થયેલા હુમલાની CCTV ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.(વાંચો સંપૂર્ણ સમાચાર) 4 માસની બાળકીને ફાડી ખાનારા શ્વાનના માલિકની ધરપકડ:યુવતી ફોનમાં વાતોમાં હતી ને હાથમાંથી છટકેલા શ્વાને કાળો કેર વર્તાવ્યો અમદાવાદ શહેરના હાથીજણ સર્કલ પાસે આવેલી રાધે રેસિડેન્સીમાં એક પાલતું રોટવીલર શ્વાને 4 મહિનાની બાળકી અને તેની સાથે રહેલા તેના માસી પર હુમલો કરી દેતા બાળકીનું મોત નિપજ્યું હતું, જ્યારે માસીને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. (વાંચો સંપૂર્ણ સમાચાર) જર્મન શેફર્ડ ડોગનો બે બાળક પર હુમલો, CCTV:અમદાવાદમાં પાર્કિંગમાંથી મહિલા કૂતરાને લઈને જતા સમયે બાળક પાછળ દોડ્યોઅમદાવાદના ન્યૂ મણિનગર વિસ્તારમાં ડૂન રિવેરા સ્કૂલ પાસે આવેલા શરણમ એલિગન્સમાં પાલતું કૂતરા જર્મન શેફર્ડે બે બાળક પર હુમલો કર્યો હતો. મહિલા કૂતરાને લઈને બ્લોકના પાર્કિંગમાંથી જતી હતી ત્યારે બાળક કૂતરાને જોઈને ભાગ્યાં હતાં. બાળકોને ભાગતાં જોઈને લકી નામના કૂતરાએ તેની પાછળ દોટ મૂકી હતી.. (વાંચો સંપૂર્ણ સમાચાર) ​​​​​​​

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 11:05 am

કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડું સ્થળ:લઘુત્તમ તાપમાન 10.4 ડિગ્રી નોંધાયું, વહેલી સવારે લોકોને ઠંડીનો સતત અનુભવ

કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડું સ્થળ રહ્યું છે. આજે અહીં લઘુત્તમ તાપમાન 10.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. છેલ્લા એક સપ્તાહથી તાપમાન 10 ડિગ્રીથી ઉપરના સ્તરે જળવાઈ રહ્યું છે. નલિયામાં લોકો સાંજથી વહેલી સવાર સુધી સતત ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે તાપમાન હજુ એકલ આંક (સિંગલ ડિજિટ) સુધી પહોંચ્યું નથી. જિલ્લા મથક ભુજ શહેરમાં લઘુત્તમ તાપમાનમાં સામાન્ય વધારો નોંધાયો છે. ભુજનું ન્યૂનતમ તાપમાન 16.4 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે, જેના કારણે ઠંડીમાં ઘટાડો થયો છે. બપોરના સમયે ગરમીનો અનુભવ થાય છે. કચ્છમાં આ વિષમ હવામાનને કારણે સીઝનલ બીમારીઓમાં વધારો જોવા મળ્યો છે. સરહદી કચ્છ જિલ્લામાં શિયાળો હજુ સંપૂર્ણપણે જામ્યો નથી. લોકો ગરમ વસ્ત્રો પહેરવા કે નહીં તે અંગે અવઢવમાં છે. ભુજ શહેરની બજારમાં ગરમ વસ્ત્રોની હંગામી દુકાનોમાં હજી સુધી ગ્રાહકોની ખરીદી જામી શકી નથી. કંડલામાં તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 10:59 am

5 વર્ષમાં સાયબર ક્રાઈમ 30% વધ્યો: 9 મહિનામાં રૂ.1011 કરોડ સ્વાહા, ગુજરાતીઓ સૌથી વધુ છેતરાયા

Cyber crime in Gujarat: ગુજરાતમાં સાયબર ક્રાઈમ અટકાવવા માટેના પોલીસ અને સરકારના સામુહિક પ્રયાસો અને જનજાગૃતિ અભિયાનો છતાં સાયબર ગઠિયાઓ પોલીસ કરતાં એક ડગલું આગળ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં સાયબર ક્રાઈમના બનાવોમાં ચિંતાજનક 30 ટકાનો વધારો નોંધાયો છે. વર્ષ 2025ના સપ્ટેમ્બર મહિના સુધીમાં જ (પ્રથમ 9 મહિનામાં) સાયબર અપરાધીઓએ ગુજરાતીઓના રૂ.1,011 કરોડ ચાઉં કરી લીધા છે, જે રાજ્યની સુરક્ષા વ્યવસ્થા માટે લાલબત્તી સમાન છે. આંકડાકીય માહિતી અનુસાર, સૌથી વધુ ઠગાઈ રોકાણમાં ઊંચા વળતરની લાલચ આપીને કરવામાં આવી છે. માત્ર રોકાણના બહાને જ 9,240 લોકો સાથે છેતરપિંડી આચરીને કુલ રૂ.

ગુજરાત સમાચાર 23 Nov 2025 10:27 am

ઈટોલા ગામમાંથી 10 ફૂટ લાંબા મહાકાય અજગરનું રેસ્ક્યૂ:વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે અજગરને વનવિભાગને સોંપ્યો, સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો

વડોદરા નજીક આવેલા ઇટોલા ગામમાં 10 ફૂટ લાંબો મહાકાય અજગર ઘુસી આવ્યો હતો. જેને પગલે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે મગરને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યો હતો અને વન વિભાગને સોંપ્યો હતો. 10 ફૂટ લાંબો મહાકાય અજગર ઈટોલા ગામમાં ઘૂસ્યોવડોદરા જિલ્લાના ઈટોલા ગામે શનિવારે મોડી રાત્રે લગભગ 10.30 વાગ્યે ગામના ફળિયા પાસે કોતરમાંથી નીકળી આવેલો આશરે 10 ફૂટ લાંબો મહાકાય અજગર સ્થાનિક લોકોમાં દહેશત ફેલાવી દીધી હતી. આ ઘટનાની જાણ ગામના સરપંચ ગણપતભાઈએ તાત્કાલિક વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારને ફોન કરીને કરી હતી. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે અજગરને રેસક્યૂ કર્યોઅજગર ગામમાં ઘૂસી આવ્યો હોવાની સૂચના મળતાં જ ટ્રસ્ટની ટીમના સભ્યો હાર્દિક પવાર, ઈશ્વર ચાવડા તથા પ્રવીણ પરમારે તુરત જ સ્થળ પર પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. લગભગ એક કલાકની સઘન મશક્કત અને કુશળતા પછી ટીમે અજગરને સલામત રીતે રેસ્ક્યુ કર્યો હતો અને તેને વડોદરા વન વિભાગના અધિકારીઓને સોંપી દીધો હતો. અજગરને વન વિભાગનો સોંપ્યોવાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવાર અને સભ્ય હાર્દિક પવારે જણાવ્યું હતું કે, આવા મહાકાય અજગરનું રેસ્ક્યૂ જોખમી હોય છે, પરંતુ અમારી ટીમે સ્થાનિક લોકોના સહકારથી તેને સલામત રીતે બચાવી લીધો છે. અજગરને હવે વન વિભાગ દ્વારા તેના કુદરતી નિવાસસ્થાનમાં છોડવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 10:17 am

બુક ફેસ્ટિવલમાં વિદ્યાર્થીનીએ કેન્દ્રીય-ગૃહમંત્રી સમક્ષ હાર્મોનિયમ શીખવાની ઈચ્છા વ્યક્ત કરી:અમિત શાહે કહ્યું, દિકરીની વિગત અને ઘરનું એડ્રેસ લઇને મારી ઓફિસે પહોંચાડી દેજો

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે શનિવારે(22 નવેમ્બરે) સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025ની મુલાકાત લીધી હતી. અમિત શાહે બુક સ્ટોલની મુલાકાત લીધી હતી. બુક ફેસ્ટિવલમાં બાળકો માટે અલગ અલગ સ્પર્ધાઓ પણ યોજવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વિવિધ સ્પર્ધાઓમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત પણ કર્યા હતાં. વિદ્યાર્થીનીએ હાર્મોનિયમ શીખવા માટે ઇચ્છા વ્યક્ત કરી શહેરના નિકોલ વિસ્તારની સ્કૂલમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરનારી વિદ્યાર્થીનીને સન્માનિત કરી હતી. ત્યારે વિદ્યાર્થીનીએ કેન્દ્રીય ગૃહ મંત્રી સમક્ષ પોતાને હાર્મોનિયમ શીખવા માટે ઇચ્છા વ્યક્ત કરતા અમિત શાહે સાથે રહેલા ધારાસભ્ય અમિત ઠાકરને કહ્યું, વિદ્યાર્થીનીની વિગત લઇ ઓફિસ મોકલાવજો. ધારાસભ્યએ વિદ્યાર્થીનીની નામ, સરનામું અને વિગત લઈને ગૃહ મંત્રીની ઓફિસે મોકલાવી હતી. 'દિકરીની વિગત અને ઘરનું એડ્રેસ લઇને મારી ઓફિસે પહોંચાડી દેજો'22 નવેમ્બર શનિવારના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બુક ફેસ્ટિવલ દરમિયાન યોજાયેલી વિવિધ સ્પર્ધાઓના વિદ્યાર્થીઓને સન્માનિત કરી રહ્યાં હતા. જે દરમિયાન અમદાવાદની પુરૂષોત્તમનગર સ્કૂલમાં અભ્યાસ કરતી 10 વર્ષીય વિદ્યાર્થીની પ્રગતિ ચૌહાણને હાર્મોનિયમ સ્પર્ધામાં પહેલો નંબર મેળવવા બદલ સન્માનિત કરી રહ્યાં હતા. એ દરમિયાન પ્રગતિ ચૌહાણે અમિત શાહ સમક્ષ ઇચ્છા વ્યક્ત કરી કે, મારે હાર્મોનિયમ શીખવાની ઇચ્છા છે. વિદ્યાર્થીનીની વાત સાંભળતા જ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નજીક ઉભેલા વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરને કહ્યું કે, દિકરીની વિગત અને ઘરનું એડ્રેસ લઇને મારી ઓફિસે વિગત પહોંચાડી દેજો. 'કોમનવેલ્થ દેશોના ખેલાડીઓ માટે અમદાવાદ તૈયાર છે, સુસ્વાગતમ'સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાયેલા બુક ફેસ્ટિવલના સ્થળે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે હસ્તાક્ષર દીવાલ (સિગ્નેચર વોલ) પર પોતાનો વિશેષ પ્રતિભાવ લખ્યો હતો. આ પ્રતિભાવ દ્વારા તેમણે કોમનવેલ્થ દેશોના ખેલાડીઓ માટે અમદાવાદની તૈયારીઓને બિરદાવી હતી. ​તેમણે સિગ્નેચર વોલ પર લખ્યું હતું કે: કોમનવેલ્થ દેશોના ખેલાડીઓ માટે અમદાવાદ તૈયાર છે, સુસ્વાગતમ.(વાંચો સંપૂર્ણ અહેવાલ) અમિત શાહે બાળકો સાથે આત્મીય વાર્તાલાપ કર્યોકેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બુક ફેરના વિવિધ સ્ટોલ્સની રૂબરૂ મુલાકાત લીધી હતી અને પુસ્તકો પ્રત્યે પોતાનો વિશેષ લગાવ વ્યક્ત કર્યો હતો. તેમણે આ પ્રસંગે ઉપસ્થિત વિવિધ શાળાઓના બાળકો સાથે આત્મીય વાર્તાલાપ કર્યો હતો અને તેમને વાંચનનું મહત્વ સમજાવી પ્રોત્સાહિત કર્યા હતા.બાળકો સાથેના આ સંવાદે મહોત્સવમાં એક ઉષ્માભર્યો માહોલ સર્જ્યો હતો. ઉલ્લેખનીય છે કે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહની સાથે મંત્રી જીતુ વાઘાણી અને મંત્રી ઋષિકેશ પટેલ, અમદાવાદ શહેરના ધારાસભ્યો અને AMCના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 10:12 am

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છને ₹679 કરોડના વિકાસકામોની ભેટ આપશે:ભુજ અને ગાંધીધામમાં ખાતમુહૂર્ત-લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રવિવારે એક દિવસની કચ્છની મુલાકાતે છે. તેઓ જિલ્લા મથક ભુજ અને ઔદ્યોગિક મથક ગાંધીધામ ખાતે ₹679 કરોડના વિકાસકામોની ભેટ આપશે. ભુજમાં લાલન કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ₹498 કરોડના 52 કામોનું ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત, ₹5.79 કરોડના ત્રણ કામોનું લોકાર્પણ પણ કરવામાં આવશે, જે કુલ ₹503 કરોડના વિકાસકામોનો ભાગ છે. આ વિકાસકામોમાં માર્ગ અને મકાન, જીએમડીઆરડીસી, સિંચાઈ, વન વિભાગ, પ્રવાસન અને શિક્ષણ વિભાગના વિવિધ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. ગાંધીધામમાં, મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી ₹176 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. સત્તાવાર કાર્યક્રમ અનુસાર, મુખ્યમંત્રી પટેલ સવારે કંડલા એરપોર્ટ પર ઉતરાણ કરશે. ત્યારબાદ તેઓ સરદાર વલ્લભભાઈ પટેલ ઓડિટોરિયમ ખાતે વિકાસ કામોનું ભૂમિપૂજન કરશે. ગાંધીધામના કાર્યક્રમ બાદ, બપોરે 12 થી 1 વાગ્યા દરમિયાન ભુજમાં આયોજિત લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપી તેઓ ગાંધીનગર પરત જવા રવાના થશે. મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી ત્રિકમ છાંગા, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્યો કેશુ પટેલ, માલતીબેન મહેશ્વરી, અનિરુદ્ધ દવે, વીરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રીના કચ્છ આગમનને ધ્યાનમાં રાખીને ભુજ અને ગાંધીધામ શહેરના જાહેર માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત, મુખ્ય માર્ગો પર સફાઈ અભિયાન હાથ ધરી તેમને સ્વચ્છ અને સુંદર બનાવવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 10:05 am

દીકરીના લગ્ન માટે CMએ કાર્યક્રમનું સ્થળ બદલાવ્યું:પરિવાર સાથે ફોન પર વાત કરી, કહ્યું-'તમારા મેરેજ હતા ત્યાં મારો પ્રોગ્રામ કરવાની મેં ના પાડી, તમે ફંક્શન કરજો'

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો માનવતાભર્યો અને સંવેદનશીલ વલણ દર્શાવતી અનોખી ઘટના સામે આવી છે. જામનગરના પરમાર પરિવારની દીકરી સંજના પરમારના 23 નવેમ્બરનાં રોજ જામનગર શહેરના ટાઉનહોલ ખાતે લગ્ન હતા, પરંતુ લગ્નના એક દિવસ બાદ એટલે કે 24 નવેમ્બરનાં મુખ્યમંત્રીનો સરકારી કાર્યક્રમ પણ એ જ સ્થળે નિર્ધારિત હતો. જેના કારણે આસપાસ સુરક્ષા, પોલીસ બંદોબસ્ત અને માર્ગ વ્યવસ્થામાં ફેરફાર થવાને કારણે પરિવાર ચિંતામાં મુકાયો હતો. 'આપણા કાર્યક્રમનું સ્થળ બદલો, દીકરીના પરિવારની ચિંતાએ આપણી ચિંતા'પરિવારે આ બાબતે મુખ્યમંત્રી કાર્યાલય સુધી વાત પહોંચાડતા મુખ્યમંત્રીએ તાત્કાલિક પ્રતિસાદ આપ્યો અને અધિકારીઓને સૂચના આપી કે, 'આપણા કાર્યક્રમનું સ્થળ બદલો. દીકરીના પરિવારની ચિંતાએ આપણી ચિંતા'. આ નિર્ણય બાદ કાર્યક્રમ નવી જગ્યાએ પાર પાડવામાં આવ્યો અને પરમાર પરિવારનો મોટો તણાવ દૂર થયો. CMએ પરિવારને ફોન કરી ચિંતા મુક્ત કર્યાઆ દરમિયાન CMએ પરમાર પરિવારના મોભી સાથે ફોન પર વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તમારા પરિવારના મેરેજ હતા ત્યાં અમારો પ્રોગ્રામ કરવાની મેં ના પાડી છે કે ત્યાં પ્રોગ્રામ ના કરો. મેરેજ હોય એટલે તમારી તકલીફ સમજી શકું છું. એટલે તમારા સમયે તમે તમારો ફંકશન કરજો જ ન્યાં, છતાં તમને કઈ તકલીફ હોય તો આ નંબર પર ફોન કરજો. 'મુખ્યમંત્રીનો એક ફોન આવ્યો અને અમે શાંતિથી સુઈ શક્યા'લગ્નકન્યાના કાકા બ્રિજેશ પરમાર મુખ્યમંત્રી પ્રત્યે આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, 'લગ્નગાળામાં તાત્કાલિક સ્થળ બદલવું, મહેમાનોને જાણ કરવી અને નવી વ્યવસ્થા કરવી અઘરી બાબત હતી, પરંતુ મુખ્યમંત્રીનો એક ફોન આવ્યો અને અમે શાંતિથી સુઈ શક્યા.' આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માત્ર જવાબદાર પ્રશાસક નથી, પરંતુ લોકોની ભાવનાઓને સમજતા સંવેદનશીલ નેતા છે. જનતાની નાની લાગણી અને મુશ્કેલીઓ સમજીને નિર્ણય લેવી એ તેમની કાર્યશૈલીનું વિશેષ લક્ષણ બનેલું છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 9:56 am

10.4 ડિગ્રી સાથે નલિયામાં ઠંડીનો ચમકારો:રાજકોટમાં 13.9 તો ડીસામાં 14.3 ડિગ્રી તાપમાન નોંધાયું, જાણો ક્યાં શહેરમાં કેટલી ઠંડી પડી

રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે તમામ મોટા શહેરોનું તાપમાન 20 ડિગ્રી કરતા નીચે નોંધાયું છે. છેલ્લા કેટલાક દિવસથી નલિયામાં સૌથી વધુ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ત્યારે ફરી એક વખત રાજ્યમાં 10.4 ડિગ્રી સાથે નલિયામાં સૌથી ઠંડુગાર શહેર બની ગયું છે. રાજકોટમાં 13.9 ડિગ્રી તો અમદાવાદમાં 15.1 ડિગ્રી હવામાન વિભાગના આંકડા પ્રમાણે રાજકોટમાં 13.9 ડિગ્રી, ડીસામાં 14.3 ડિગ્રી, અમદાવાદમાં 15.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પોરબંદરમાં 15.8 ડિગ્રી, ભુજમાં 16.4 ડિગ્રી, ગાંધીનગરમાં 16.2 ડિગ્રી, વડોદરામાં 16.6 ડિગ્રી, કંડલામાં 17 ડિગ્રી, ભાવનગરમાં 17.8 ડિગ્રી સુરતમાં 18.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઠંડીના પ્રમાણમાં વધારો થશેઠંડીનો ચમકારો વહેતા વહેલી સવાર ગાર્ડનમાં પણ લોકોની સંખ્યા વધી ગઈ છે. ઠંડીથી બચવા માટે વહેલી સવારે મોટી સંખ્યામાં લોકો ગાર્ડનમાં ચાલતા અને કસરત કરતા જોવા મળી રહ્યા હતા. જો કે આગામી સમયમાં ઠંડીના પ્રમાણમાં વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 9:41 am

ગણેશ ગોંડલ સહિત 13 શખ્સો સુરેન્દ્રનગર એસપી સમક્ષ હાજર:રાજકુમાર જાટના મોત મામલે તપાસ તેજ, પોલીસની ટીમે તમામના નિવેદનો લીધાં

સુરેન્દ્રનગરમાં રાજકુમાર જાટના મોત મામલે તપાસ તેજ બની છે. આ કેસમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ સહિત 13 શખ્સોને સુરેન્દ્રનગર એસપી સમક્ષ તપાસ માટે હાજર કરવામાં આવ્યા હતા. આ કેસમાં ગોંડલ, કાલાવડ અને રાજકોટમાં ત્રણ અલગ-અલગ ફરિયાદો નોંધાઈ છે, જેની તપાસ હાઈકોર્ટે સુરેન્દ્રનગર એસપી અને ધાંગધ્રાના ડીવાયએસપીને સોંપી છે. હાઈકોર્ટના આદેશ મુજબ, તમામ શંકાસ્પદ વ્યક્તિઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. તપાસ ટીમ ઘટનાક્રમની ઝીણવટભરી તપાસ કરી રહી છે. હાઈકોર્ટે 10 તારીખ સુધીમાં કેસની સંપૂર્ણ તપાસ પૂર્ણ કરીને વિગતવાર રિપોર્ટ સુપરત કરવાનો નિર્દેશ આપ્યો છે. સુરેન્દ્રનગર પોલીસ મથકે ગણેશ ગોંડલ સહિતના તમામ વ્યક્તિઓના નિવેદનો દિવસભર નોંધવામાં આવ્યા હતા. રાજકુમાર જાટના મોતનું સત્ય બહાર લાવવા પોલીસ ટેકનિકલ અને દસ્તાવેજી પુરાવાઓની પણ ચકાસણી કરી રહી છે. કેસની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પોલીસ અત્યંત સાવચેતીપૂર્વક તપાસ આગળ વધારી રહી છે. રાજકુમાર જાટના મોત કેસમાં તપાસ દરમિયાન ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ સહિત કુલ 11 શખ્સોની સંડોવણીના સંકેતો મળ્યા છે. આ ગંભીર કેસની તપાસ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને સોંપવામાં આવી છે, જેમાં ધાંગધ્રાના ડીવાયએસપી જે.ડી. પુરોહિત પણ જોડાયા છે. પોલીસે જણાવ્યું કે, ગણેશ ગોંડલ સહિત તમામ શંકાસ્પદ વ્યક્તિઓને સુરેન્દ્રનગર ખાતે પૂછપરછ માટે હાજર રહેવા જણાવાયું હતું. તેમના નિવેદનોની ઝીણવટભરી ચકાસણી અને પૂછપરછ ચાલી રહી છે. તપાસ દરમિયાન, ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાજકુમાર જાટના ગુમ થયા અંગેની ફરિયાદ અને ત્યારબાદ એનસી ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત, રાજકોટમાં તેની હત્યા અંગે અલગ ગુનો પણ નોંધાયો છે. હાઈકોર્ટે ત્રણેય કેસોની તપાસ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાને સોંપતા, પોલીસે તપાસ વધુ તેજ બનાવી છે. હાલમાં સુરેન્દ્રનગર ખાતે તમામ શંકાસ્પદ વ્યક્તિઓની ઝીણવટભરી પૂછપરછ ચાલી રહી છે. પોલીસ દ્વારા આ કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર જિલ્લાનું ધ્યાન આ હાઈપ્રોફાઈલ કેસની આગામી કાર્યવાહી પર કેન્દ્રિત થયું છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 9:25 am

ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગ કરનારા 14 સિનિયરો હોસ્ટેલમાંથી સસ્પેન્ડ:જુનિયર વિદ્યાર્થીઓ પાસે 'ઇન્ટ્રો' કરાવી માનસિક ટોર્ચર કરતા

ગાંધીનગરની જીએમઇઆરએસ(GMERS) મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં ફરી એકવાર શરમજનક રેગિંગની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને બોલાવી 'ઇન્ટ્રો' આપવાની ફરજ પાડી તેમની સાથે પરાણે હસી-મજાક કરીને માનસિક રીતે ટોર્ચર કરવા બદલ 14 જેટલા સિનિયર વિદ્યાર્થીઓને માત્ર કોલેજની બોયઝ હોસ્ટેલમાંથી 6 માસથી લઈને બે વર્ષ સુધીના સમયગાળા માટે રસ્ટિકેટ(સસ્પેન્ડ) કરી સત્તાવાળાઓએ ચુપકીદી સાધી લીધી છે. GMERS મેડિકલ કોલેજમાં 'રેગિંગ'નું કલંકગાંધીનગર મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં રેગિંગની નવી ઘટના સામે આવતા કોલેજ વહીવટીતંત્રની જવાબદારી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એટલે કે UGC રેગિંગને ફોજદારી ગુનો ગણાવતું હોવા છતાં મેડિકલ કોલેજ તંત્ર દ્વારા વારંવાર બનતી આવી ઘટનાઓમાં કડક કાર્યવાહી કરવાને બદલે 'ભવિષ્ય ન બગડે' તેવી નરમ નીતિ અપનાવવામાં આવી છે. સિનિયરો દ્વારા જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગપ્રથમ વર્ષની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અભ્યાસ શરૂ થઈ ગયો છે. તેવામાં કોલેજની બોયઝ હોસ્ટેલમાં બીજા અને ત્રીજા વર્ષના કેટલાક વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને બોલાવીને તેમને 'ઇન્ટ્રો' આપવાની ફરજ પડાઈ હતી. બાદમાં તેમની સાથે પરાણે હસી-મજાક કરીને માનસિક રીતે ટોર્ચર કર્યા હતા. જેના પગલે પ્રથમ વર્ષના કેટલાક વિદ્યાર્થીઓએ હિંમત દાખવીને તાત્કાલિક મેડિકલ કોલેજ સત્તાધિશો સમક્ષ લેખિતમાં રજૂઆત કરી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને કોલેજ સત્તાધિશોએ તપાસ શરૂ કરી હતી. પૂછપરછના અંતે બીજા અને ત્રીજા વર્ષના 14 જેટલા વિદ્યાર્થીઓ રેગિંગની ઘટના માટે જવાબદાર હોવાનું સામે આવ્યું હતું. 14 વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી રસ્ટિકેટ કરાયાજોકે કોલેજ તંત્રએ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે તેમને કોલેજમાંથી કાઢી મૂકવાને બદલે માત્ર હોસ્ટેલમાંથી રસ્ટિકેટ કરવાનો નિર્ણય લઈ ભીનું સંકેલી દેવાની પેરવી કરાઈ છે. આ કસૂરવાર 14 વિદ્યાર્થીઓને તેમની સંડોવણીના આધારે 6 માસથી લઈને બે વર્ષ સુધીના સમયગાળા માટે હોસ્ટેલમાંથી રસ્ટિકેટ કરવામાં આવ્યા છે. ઉપરાંત તમામ 14 વિદ્યાર્થીઓના વાલીઓને પણ કોલેજ ખાતે બોલાવીને આ ગંભીર ઘટના અંગે વિગતે જાણ કરવામાં આવી હતી.​ સિનિયરોએ પટ્ટેથી માર મારીને ઉઠક-બેઠક કરાવીજોકે કોલેજ તંત્ર દ્વારા સત્તાવાર રીતે આ અંગે કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલા ગાંધીનગર મેડિકલ કોલેજમાં ગત વર્ષે માર્ચ મહિનામાં પણ જુનિયર વિદ્યાર્થીને સિનિયરોએ પટ્ટેથી માર મારીને ઉઠક-બેઠક કરાવવાની ઘટના બની હતી. તે સમયે કોલેજ તંત્રએ દાખલારૂપ પગલાં લેવાને બદલે માત્ર માફીપત્ર લખાવીને મામલો દબાવી દીધો હતો. જો કોલેજ દ્વારા અગાઉના કેસમાં કડક કાર્યવાહી કરવામાં આવી હોત, તો કદાચ આજના 14 વિદ્યાર્થીઓ રેગિંગ કરતા પહેલા બે વખત વિચાર કરતા હોત. રેગિંગના કારણે છાત્રના મૃત્યુની ઘટનાપાટણની ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગના કારણે છાત્રના મૃત્યુની ઘટનાએ રાજ્યભરમાં ચર્ચા જગાવી હતી.જે બાદ તમામ મેડિકલ કોલેજોમાં યુજીસીની એન્ટિ-રેગિંગ માર્ગદર્શિકાનું કડક પાલન કરવા અને જાગૃતિ કાર્યક્રમો યોજવાની સૂચના અપાઈ હતી. જોકે ગાંધીનગર મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષનો અભ્યાસ શરૂ થઈ ગયો હોવા છતાં હજી એન્ટી રેગિંગ કમિટીની બેઠક જ મળી નથી.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 9:11 am

રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ દ્વારકા જિલ્લાની શાળાઓની મુલાકાત લીધી:શૈક્ષણિક સ્થિતિ ચકાસી, બાળકો સાથે ભોજન લીધું અને ગુણવતા ચકાસી, વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો

શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓ અને પ્રાથમિક, માધ્યમિક તેમજ પ્રૌઢ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ દેવભૂમિ દ્વારકા જિલ્લાનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન તેમણે જિલ્લાની શૈક્ષણિક સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ ખંભાળિયા તાલુકાની દાંતા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. અહીં તેમણે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત બનતી વાનગીઓનો સ્વાદ ચાખી ભોજનની ગુણવત્તા ચકાસી હતી. શાળાના આચાર્ય પાસેથી શિક્ષણ સિવાય બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે થતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે પણ માહિતી મેળવી હતી. તેમણે શાળામાં નિર્માણાધીન બાંધકામની પણ મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં, મંત્રીએ ખંભાળિયા તાલુકાની વિંજલપર મોડલ સ્કૂલની મુલાકાત લીધી હતી. તેમણે બાળકોના શિક્ષણ, હોસ્ટેલ, ભોજન સહિતની તમામ આનુષંગિક વ્યવસ્થાઓની ચકાસણી કરી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. તેમણે શાળા અને હોસ્ટેલમાં સ્વચ્છતા જાળવવા પર ખાસ ભાર મૂક્યો હતો. રાજ્ય શિક્ષણમંત્રીએ ખંભાળિયા સ્થિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે જિલ્લા શિક્ષણ વિભાગની સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે શિક્ષકોને બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવા, આગામી સમયમાં દરેક બાળક વાંચન, લેખન અને ગણનમાં સક્ષમ બને તે સુનિશ્ચિત કરવા અને વાલીઓને પણ બાળકના શિક્ષણ વિશે માહિતગાર કરવા જણાવ્યું હતું. શિક્ષણની સાથે બાળકોને આપણી સંસ્કૃતિ વિશે પણ માહિતી મળે તેવા પ્રયત્નો કરવા માર્ગદર્શન આપ્યું હતું. આ મુલાકાત દરમિયાન, રાજ્ય શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ ખંભાળિયા તાલુકાની વિવિધ શાળાઓમાં બાળકો સાથે સંવાદ કર્યો હતો. તેમણે રસોડામાં તૈયાર થઈ રહેલા ભોજનનું જાતે નિરીક્ષણ કર્યું હતું અને બાળકો સાથે ભોજન પણ લીધું હતું. તેમણે છોકરીઓ સાથે પણ ભોજન લીધું અને તેમની સાથે વાતચીત કરી હતી. વર્ગખંડમાં બાળકોની બેન્ચ પર બેસીને તેમણે બાળકો સાથે વાંચન સહિતનો સંવાદ કર્યો હતો. મંત્રીએ શિક્ષકોને બાળકોના વિકાસ માટે કડક ભાષામાં જરૂરી સૂચનાઓ આપી હતી અને એક મહિના પછી પરિણામ જોવા માટે ફરી નિરીક્ષણ કરવાની વાત કરી હતી. આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ, અગ્રણી પી.એસ. જાડેજા, મયુરભાઈ ગઢવી, રસિકભાઈ નકુમ, લુણાભા સુમાણિયા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 9:03 am

કચ્છના ભીમસરમાં ગાંજાનું ખેતર ઝડપાયું:આડેસર પોલીસે 104 કિલો ગાંજો જપ્ત કર્યો, એકની ધરપકડ

કચ્છના રાપર તાલુકાના ભીમસર ગામેથી ગાંજાના વાવેતરનું એક મોટું ખેતર ઝડપાયું છે. આડેસર પોલીસે દરોડો પાડીને 52 લાખ રૂપિયાથી વધુની કિંમતનો 104 કિલોથી વધુ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરી છે. આડેસર પોલીસે વાડી વિસ્તાર, ભીમસર, તા. રાપરના રહેવાસી અરજણભાઈ દેવાભાઈ કોળીની ધરપકડ કરી છે. તેમની પાસેથી કુલ 104.300 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત 52,15,000 રૂપિયા આંકવામાં આવી છે. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી આડેસર પીઆઈ જે.એમ. વાળા અને તેમના સ્ટાફ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરોડાની કાર્યવાહી કલાકો સુધી ચાલી હતી. પોલીસે આ અંગે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આડેસર પીઆઈ જે.એમ. વાળાએ જણાવ્યું કે, બાતમીના આધારે ભીમસર ગામે દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં ખેતરમાં વાવેતર કરાયેલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. NDPSના ગુનામાં પકડાયેલા આ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાપર તાલુકાના બારદરગઢ ગામ નજીકથી પણ 2.76 લાખ રૂપિયાની કિંમતના ગાંજાના છોડ સાથે એક વ્યક્તિ ઝડપાયો હતો, જે દર્શાવે છે કે વાગડ વિસ્તારમાં માદક પદાર્થના સેવનની પ્રવૃત્તિઓ જોવા મળી રહી છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 8:56 am

હિંમતનગરના કાંકણોલમાં ટ્રેક્ટર રિવર્સ થયું:ઘર આગળ ઊભેલા ખેડૂતને ગંભીર ઈજા, ઘટના CCTVમાં કેદ

હિંમતનગર તાલુકાના કાંકણોલ ગામે એક અનોખી ઘટના બની છે. ઘર આગળ પાર્ક કરેલું ટ્રેક્ટર ડ્રાઈવર વગર અચાનક રિવર્સ થતાં એક ખેડૂત ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કાંકણોલ ગામના જયેશભાઈ ડાહ્યાભાઈ પટેલના ઘરે શનિવારે ઘર આગળ ટ્રેક્ટર પાર્ક કરેલું હતું. ઘર આગળના ઢાળને કારણે ટ્રેક્ટર આપોઆપ રિવર્સ થવા લાગ્યું હતું. જયેશભાઈ પટેલ દરવાજા પર પીઠ ફેરવીને ઊભા હતા ત્યારે તેમને જાણ બહાર ટ્રેક્ટરના આગળ અને પાછળના ટાયર તેમના શરીર પર ફરી વળ્યા હતા. આથી તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઈજાગ્રસ્ત જયેશભાઈને તાત્કાલિક સારવાર અર્થે હિંમતનગરની પ્લુટો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 8:52 am

તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરાઈ‎:ટાટમ,કાનીયાડ ગામે શાળાઓની આસપાસ તમાકુનું ધૂમ વેચાણ

બોટાદ જિલ્લામાં સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ Tobacco Free Youth Campaign 3.0 (TFYC) અંતર્ગત તમાકુ વિરોધી કાયદાનાં કડક અમલીકરણ માટે ટાસ્ક ફોર્સ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી. એ. ધોળકિયા તથા એપિ ડેમિક મેડિકલ ઓફિસર ડો. આર. આર. ચૌહાણના નિયંત્રણમાં જિલ્લાનાં તમામ તાલુકાઓમાં તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા તમાકુ નિયંત્રણના નિયમોનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનને વધુ અસરકારક બનાવવા બોટાદ જિલ્લાના ટાટમ અને કાનીયાડ ગામોમાં એક સાથે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. ચેકિંગ દરમિયાન 18 જેટલા પાન-ગલ્લા, દુકાનદારો અને નાનાં-મોટાં વેપારીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાં 15 દુકાનદારો પાસેથી રૂ.270 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ટાસ્ક ફોર્સ દ્વારા ખાસ કરીને “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ – COTPA 2003”નાં નિયમોનું ઉલ્લંઘન કરતી પ્રવૃત્તિઓને રોકવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. 18 વર્ષથી ઓછી વયનાં વ્યક્તિને તમાકુ નું વેચાણ, સિગા રેટ–બીડીનું છૂટક વેચાણ, આરોગ્ય ચેતવણી વિના પેકેટોનું વેચાણ, તેમજ શાળા આસપાસ તમાકુ વેચાણ પર પ્રતિબંધ જેવી મહત્વની બાબતો અંગે વેપારીઓને સમજાવટ સાથે કાયદેસર પગલાં લેવામાં આવ્યાં હતાં. ઉપરાંત બીલ વિના વેચાતી ઈમ્પોર્ટેડ સિગારેટ જેવી બિનઅધિકૃત વસ્તુઓની પણ તપાસ હાથ ધરાઈ હતી.આ કામગીરીમાં પ્રા. આરોગ્ય કેન્દ્ર ટાટમના મેડિકલ ઓફિસર ડો. વિશાલ કણઝરીયા, તાલુકા સુપરવાઈઝર હિતેશભાઈ બી.પટેલ, એચ.પી.એચ.ડબલ્યુ. યોગેશભાઈ મેર, તેમજ પ્રા. આરોગ્ય કેન્દ્ર કાનીયાડના મેડિકલ ઓફિસર ડો. સેજલબેન ભૂત, સુપરવાઈઝર પીયુષભાઈ ખાવડીયા અને પોલીસ વિભાગનાં રાજુભાઈ અણીયાળીયા વિગેરે જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 7:42 am

અમદાવાદ ગ્રામ્ય પોલીસની ખાસ સ્પેશિયલ ડ્રાઈવ:30 વર્ષના વિવિધ ગુનાઓમાં ગુનાઓમાં સંડોવાયેલા 960 આરોપીઓનું ચેકિંગ

પોલીસ મહાનિર્દેશક તથા મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં છેલ્લા 30 વર્ષ દરમિયાન વિવિધ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનું ચેકિંગ હાથ ધરવાના અભિયાનના આદેશ આપવામાં આવ્યા હતા. જે અભિયાન અંતર્ગત અમદાવાદ રેન્જ આઇજી વિધિ ચૌધરી તથા ઓમ પ્રકાશ જાટ અધિક્ષક અમદાવાદ જિલ્લા ગ્રામ્યના સીધા માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં વિશાળ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાને ધ્યાનમાં લઇ અમદાવાદ જિલ્લા ગ્રામ્યના નાયબ પોલીસ અધિકારી-4, પોલીસ ઇન્સ્પેક્ટર- 25, પોલીસ સબ ઇન્સ્પેક્ટર-52, પોલીસ કર્મીઓ- 350થી વધુ આમ 400થી વધુ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ આ અભિયાનમાં જોડાયા હતા. 100 કલાકની સ્પેશિયલ ડ્રાઈવમાં છેલ્લા 30 વર્ષના ગંભીર ગુનાઓ જેવા કે હથિયાર ધારા, NDPS એક્ટ, Exmplosive એક્ટ, બનાવટી ચલણી નોટ (FICN), TADA, POTA, MCOCA તેમજ UAPA અને પેટ્રોલિયમ એક્ટ જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. 960 આરોપીઓની વિગતવાર પૂછપરછ તેમની વર્તમાન પ્રવૃત્તિઓ અંગે માહિતી, જરૂરી દસ્તાવેજોની તપાસ તેમજ તેમના અધ્યતન ફોટોગ્રાફ્સ મેળવી પ્રોફાઈલ અપડેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ ઉપરાંત અભિયાન અંતર્ગત જિલ્લાના તમામ ગેસ્ટ હાઉસો, હોટલો અને મકાન ભાડુંઆતોનું રજીસ્ટ્રેશન સહિતની કામગીરી પણ અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવી હતી. આ અભિયાનનો પોલીસને મુખ્ય હેતુ જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરવી, ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ પર કડક દેખરેખ રાખવી અને ભવિષ્યમાં કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવાનું છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 7:41 am

હાઇકોર્ટે રેલ્વેના 2 એન્જિનિયરોને ધરપકડ સામે વચગાળાનું રક્ષણ આપ્યું

મુંબ્રા ટ્રેન દુર્ઘટનામાં પાંચ પ્રવાસીનાં મોતની ઘટનાં પોલીસને 9 ડિસેમ્બર સુધી બંને સામે કોઈ જબરદસ્તી કાર્યવાહી નહીં કરવાનો નિર્દેશ આપ્યો મુંબઈ - ૯ જૂનના રોજ પાંચ મુસાફરોના જીવ લેનારા મુમ્બ્રા ટ્રેન અકસ્માતના આરોપી મધ્ય રેલ્વેના એન્જિનિયરો વિશાલ ડોલસ અને સમર યાદવને બોમ્બે હાઈકોર્ટે ધરપકડ સામે વચગાળાની રાહત આપી છે. ગયા અઠવાડિયે થાણે સેશન્સ કોર્ટે તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધા બાદ, બંને એન્જિનિયરોએ હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો.સરકારી વકીલે કોર્ટને માહિતી આપી હતી કે આ કેસમાં તપાસ હજુ પણ ચાલુ છે.

ગુજરાત સમાચાર 23 Nov 2025 7:30 am

ભેળસેળિયા તત્વો બેફામ બન્યા:પાલિતાણામાં ખાદ્ય પદાર્થોમાં મિલાવટ સાથે ભેળસેળિયા તત્વો બેફામ બન્યા

પાલિતાણા શહેરમાં વેચાતા ખાધ પદાર્થોમાં ખુલ્લેઆમ મીલાવટ થઈ રહી છે. જન આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહેલા તત્વો સામે કાનૂની રાહે પગલા ભરવામાં સરકારી તંત્ર લાજ કાઢતું હોવાથી ભેળસળીયા તત્વો બેફામ બન્યા છે. ખોરાક અને ઐષધ વિભાગ, આરોગ્ય શાખા, બ્લોક હેલ્થ, નગરપાલિકા તેમજ જવાબદાર તંત્ર કચેરીઓમાં બેઠા બેઠા તગડો પગાર મેળવતા અધિકારીઓ, કર્મચારીઓ ઓફિસમાં આરામ ફરમાવી જન આરોગ્યની ખેવના કરતા ન હોવાના કારણે શહેરમાં ખાદ્ય પદાર્થોમાં ખુલ્લેઆમ ભેળસેળ થઈ રહી છે. માત્રને માત્ર રૂપિયા કમાવવાની લ્હાયમાં ખોરાકી ખાદ્ય નિયમોનો સરેઆમ ઉલાળીયો કરવામાં આવતો હોવા છતાં પણ સંબંધિત તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવતા નથી. શહેરમાં મુખ્ય બજાર, ગલીઓમાં, શેરીઓમાં ઠેર ઠેર ધમધમી રહેલ પાણીપુરીઓની લારીઓ, નાસ્તાની રેકડીઓ, દુકાનો, ભોજનાલય, રેસ્ટોરન્ટની આજદિન સુધી તપાસ થયેલ નથી. પાણીપુરી ની રેકડીઓ ઉપર આપવામાં આવતું પાણી પીવા માટે નુકસાનકારક છે. સરકારી તંત્રની લાપરવાહીના કારણે ખુલ્લેઆમ કોઈ જાતના ડર વગર જન આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા છે. આવી જ રીતે ફરસાણના વેપારીઓ ફરસાણ તળવાની કડાઈમાં બેરોકટોક દાઝિયા તેલનો ઉપયોગ કરી રહ્યા છે. કલરવાળા ગાંઠિયાના કલર પણ તપાસ માગી લે છે. મીઠાઈ બનાવવામાં વપરાતા માવાની ગુણવત્તા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. આવી જ રીતે ફાસ્ટફૂડની દુકાનો, લારીઓમાં આરોગ્યલક્ષી નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરાઈ રહ્યો છે. અનેક ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળ કરવામાં આવી રહી છે. આવું જ ખાદ્ય તેલમાં પણ બની રહ્યું છે. ખાદ્ય તેલમાં મોટા પાયે ભેળસેળ થતી હોવાની વાતો ચર્ચા રહી છે. ત્યારે જન આરોગ્ય અર્થે પ્રજાના હિતમા સંબંધિત તંત્ર દ્વારા કડક પગલાં ભરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 7:29 am

સામાજિક સમસ્યા:મહુવામાં વહેલી તકે અશાંત ધારો લાગુ કરાય તેવી લોક માંગ

ગુજરાતના અનેક શહેરોમાં વિધર્મીઓ દ્વારા હિન્દુ વિસ્તારોમાં એકાદુ મકાન ઉચા ભાવે રાખી હિન્દુ વિસ્તારમાં પગપેસારો કરવામાં આવે છે. ત્યાર બાદ અન્ય હિન્દુઓના મકાન વિધર્મીઓ દ્વારા પાણીના ભાવે ખરીદવામાં આવે છે. આમ ધીમે ધીમે હિન્દુ વિસ્તારમાંથી હિન્દુઓનું પલાયન શરૂ થાય છે. અને ધીમે ધીમે સમગ્ર વિસ્તાર વિધર્મીઓનો થઈ જાય છે. આમ આવા હિન્દુ વિસ્તારોની ડેમોગ્રાફી બદલાઇ જાય છે. મહુવા શહેરના જુના ગામ વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા યેનકેન પ્રકારે એકાદુ મકાન ઉચા ભાવે ખરીદી કરવામાં આવતા ધીમે ધીમે આવા વિસ્તારોમાંથી હિન્દુ સમુદાય ભારે હૈયે પલાયન કરવા મજબુર બને છે. જે ઘરમાં પોતાનો જન્મ થયો હોય અને જે શેરીઓમાં પોતાનુ બાળપણ વિત્યુ હોય જ્યાં પોતાની લાગણી જોડાઈ હોય એ મકાન અને વિસ્તારમાં આવેલુ તેમજ પોતાની આખી જીંદગીની કમાણીમાથી બનાવેલ પોતાના સપનાનું મકાન તદ્ન પાણીના ભાવે વિધર્મીઓને વેચવા મજબુર બને છે. મહુવામાં પણ વિધર્મીઓ દ્વારા હિન્દુ વિસ્તારોમાં ઉચા ભાવે મકાન લઈ પગપેસારો કરવાનું ધ્યાનમા આવતા આ વિસ્તારોના જાગૃત હિન્દુ રહેવાસીઓ દ્વારા મકાન વેચનાર સામે ભારે વિરોધ થતા આ સોદો રદ થયો હોવાનુ લોકમુખે ચર્ચાઈ રહ્યુ છે. અને મકાનના ઉચા ભાવની લાલચે વિધર્મીને મકાન વેચનાર સામે સ્થાનિક હિન્દુ રહેવાસીઓ ફિટકાર વરસાવી રહ્યા છે. અને મહુવામા પણ અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી રહ્યા છે. એક સમયે મહુવાના સુખડીયા શેરી, ખત્રી શેરી, ચકુભાઇનો ખાંચો, નાગરવાડા, શેઠ શેરી, નવા ઝાંપા વિસ્તાર, ગોળ બજાર વગેરે અનેક વિસ્તારોમાં હિન્દુ સમાજની વસ્તી હતી. જ્યાં નવરાત્રી, હોળી, દિવાળી જેવાં તહેવારોમાં આ વિસ્તારની રોનક જોવા લાયક હતી. નવરાત્રીના તહેવારમાં નવ દિવસ માતાજીની સ્થાપના, આરાધના ભકતિ ભાવ સાથે કરવામાં આવતી હોય છે. પરંતુ આજે આ સમ્રગ વિસ્તાર અને શેરીઓમાં વિધર્મીઓ રહેવા આવી જતા બહુમત હિન્દુ સમાજે ફરજીયાત અન્ય જગ્યાએ રહેઠાણ કરવાની ફરજ પડી છે. મહુવાના જુના ગામમાં હિન્દુ વસ્તી ધરાવતા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વિધર્મીઓ દ્વારા ઉચા ભાવે મકાન ખરીદવાના પ્રયાસ થઈ રહ્યા છે. જેના લીધે હિન્દુ સમાજમાં આક્રોશ ઉભો થયો છે. સ્થાનીક તંત્ર સરકાર પાસે મહુવામાં વહેલી તકે અશાંત ધારો લાગુ કરવાની માંગ ઉભી થવા પામી છે. કેસ -1 : નાળયેરી કુવા પાસેનો વિસ્તારઆશરે ત્રણેક માસ પહેલા નાળયેરી કુવા પાસેના વિસ્તારમાં વિધર્મી દ્રારા ઉચા ભાવે મકાન લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ સ્થાનિક હિન્દુ રહેવાસીઓ દ્રારા ઉગ્ર વિરોધ કરવામા આવ્યો હતો અને મહુવા કલેકટરને આ અંગે લેખિત જાણ પણ કરવામાં આવેલ જેથી મકાન લેનાર વિધર્મી દ્વારા સોદો રદ કરવામા આવ્યો હતો. કેસ -2 : સુખનાથ શેરી વિસ્તારઆવી જ એક ઘટના મહુવાની સુખનાથ શેરી વિસ્તારમાં વિધર્મી દ્વારા એક મકાન ઉચા ભાવે રાખવાનો પ્રયાસ કરવામા આવેલ જેની જાણ આજુ બાજુના હિન્દુ રહેવાસીઓને થતા વિધર્મીને મકાન વેચનારને આ બાબતે વિરોધ કરતા મકાન વેચવાનો સોદો રદ કરવાની ફરજ પડી હતી.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 7:29 am

તંત્રની ઉદાસીનતા:સિહોરના જંગલમાં પ્લાસ્ટિકના પ્રદૂષણથી સૌંદર્ય ઘટ્યું

સિહોર એક એવું શહેર છે કે જેની પૂર્વ દિશામાં જંગલ આવેલું છે. જંગલ એ કુદરતી સૌંદર્ય છે. જંગલની જાળવણી કરવી એ આપણી સૌની સામૂહિક જવાબદારી ગણાય. સિહોરવાસીઓ એટલા ખુશકિસ્મત છે કે સિહોરની નજીક જંગલ વિસ્તાર આવેલો છે. અને હાલમાં ધીમે-ધીમે આ જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક અને ઘરવખરીના જૂના સામાનનું પ્રદૂષણ વધી રહ્યું છે. જે જંગલની શોભા અને સુંદરતામાં ઘટાડો કરી રહ્યું છે. ચોમાસામાં જ્યારે સિહોરનું જંગલ અને તેની ગિરિમાળાઓ સોળે કળાએ ખીલી ઊઠે છે ત્યારે તેનો નયનરમ્ય નજારો ચારેક મહિના સુધી કોઇ પણ પ્રકૃતિ પ્રેમી માણસને રોમાંચિત કરી દે એવો નયનરમ્ય હોય છે. અને શિયાળામાં પણ થોડા સમય સુધી આ નજારો એટલો જ આહલાદક હોય છે. પરંતુ આ જંગલમાં ધીમે-ધીમે પ્લાસ્ટિક અને અન્ય કચરાનું પ્રદૂષણ વધી રહ્યું છે. આ બાબત બેહદ ગંભીર છે. અને તેને વન વિભાગે ગંભીરતાથી લેવી જ જોઇએ. લોકોએ પણ જંગલની સ્વચ્છતા જળવાઇ રહે તે માટે સ્વયંભુ વન વિભાગને સહકાર આપવો રહ્યો. અત્યારે તો આ જંગલમાં ધીમે-ધીમે પ્રદૂષણના પગરવ થઇ રહ્યા છે. પરંતુ આ બાબતે ઉદાસીનતા દાખવવામાં આવશે તો આ જંગલ પ્રદૂષિત થઇ જશે. અને જો આપણે પર્યાવરણ બચાવીશું તો પર્યાવરણ આપણને બચાવશે. આથી વન વિભાગ અને નગરજનોના સંયુક્ત અભિયાન થકી સિહોરની શોભા સમાન આ જંગલને રળિયામણું બનાવી શકાય.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 7:27 am

સૌરાષ્ટ્ર સમાચાર ઇમ્પેક્ટ:શત્રુંજય તીર્થમાં યાત્રિકો માટે જૈન આઇ કાર્ડનો આરંભ થશે

વિશ્વભરના જૈનો શત્રુંજય મહાતીર્થની જાત્રા કરવા લાખોની સંખ્યામાં આવે છે. જે યાત્રિકો ડોળીમાં જાત્રા કરતા હોય છે તેઓની સુવિધા અને અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડોળી કામદાર સમૃદ્ધિ યોજના દ્વારા ગુરુ ભગવંતોના માર્ગદર્શન હેઠળ ડોળી કામદારોને અપાયેલા જૈન આઈ કાર્ડ અને ડોળી અંગેની વ્યવસ્થા પહોંચનો તા. 25 નવેમ્બરને મંગળવારથી પ્રારંભ કરાશે.. ગુજરાત યુવક મહાસંઘના પ્રમુખ ભદ્રેશ શાહે જણાવ્યું કે ગયા વર્ષે જૈન સંઘની ડોળીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેના કારણે ડોળી કામદારોને ડોળી પેટે ₹100 ચૂકવવા પડતા હતા તેમાંથી કાયમી મુક્તિ અપાવવામાં આવી હતી. આ જ વ્યવસ્થાને વધુ સુવિધાજનક બનાવવા માટે જૈન ડોળી કામદાર સમૃદ્ધિ યોજના અંતર્ગત જૈન આઈ કાર્ડ અપાયેલ છે. ડોળીમાં યાત્રા કરનાર યાત્રિકોએ ડોળી કામદાર પાસે જૈન આઈ કાર્ડ ચકાસીને અને તેની વ્યવસ્થા પહોંચ ફળાવીને જ ડોળીમાં યાત્રા કરવી. હાલમાં ડોળી યુનિયન દ્વારા ડોળીમાં યાત્રા કરનાર પાસેથી ગેરકાયદેસર રૂપિયા 20 ઉઘરાવાય છે. જે તાત્કાલિક બંધ થાય તે માટે નાયબ કલેકટરથી લઈને ગાંધીનગરમાં ઉચ્ચસ્તરે ફરિયાદ કરાઈ છે. નવી શરૂ થઈ રહેલ વ્યવસ્થા અંતર્ગત ડોળીમાં યાત્રા કરનાર યાત્રિકોને અપાતી વ્યવસ્થા પહોંચના રૂપિયા 20 આપવાના રહેશે નહિ. જૈન આઈ કાર્ડના આધારે સારું વર્તન કરનાર ડોળી કામદારને પ્રોત્સાહન ઇનામ, બહુમાન વિગેરે કરવામાં આવશે. હાલમાં ડોળી કામદાર સમૃદ્ધિ યોજના અંતર્ગત મૃત્યુ પામનાર ડોળી કામદારના પરિવારને ₹25,000 સહાય કરવામાં આવે છે. તદુપરાંત આકસ્મિક માંદગી વિગેરેમાં પાંચથી દસ હજાર રૂપિયાની સહાય કરવામાં આવે છે. જૈન અગ્રણી વિરેશભાઈ શેઠે જણાવ્યું કે ડોળી કામદારોને સરકારી લાઇસન્સ આપવામાં આવે તે માટે સક્ષમ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરાઈ છે. ડોળી કામદારોને નોકરી, અનાજ મળે તેવી વિચારણાચોમાસામાં જૈન મહાતીર્થ પાલિતાણા શત્રુંજ્યમાં યાત્રા બંધ હોય ત્યારે ડોળી કામદારોને ધર્મશાળાઓ અને ભોજન શાળાઓમાં કે અન્ય ચાતુર્માસના આયોજનમાં નોકરી મળી રહે અને અનાજની કીટ વિગેરે પણ તેઓને મળે તેવું આયોજન વિચારાઈ રહેલ છે. પૂજ્ય આચાર્ય ભગવંતના માર્ગદર્શન હેઠળ ચાલુ થયેલ જૈન સંઘની ડોળીની સુવ્યવસ્થા બાદ જૈન સંઘનું આઈકાર્ડ (જૈન આઈ કાર્ડ) અને જૈન સંઘની વ્યવસ્થા પહોંચનો પ્રારંભ ડોળી કામદાર સમૃદ્ધિ યોજના દ્વારા કરવામાં આવી રહેલ છે. જેથી સુવિધામાં વધારો થશે. ડોળી કામદારોને વિવિધ પ્રકારની સહાય મળશેજૈન આઈ કાર્ડના કારણે માત્ર ડોળી વ્યવસાયના માધ્યમે પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ડોળી કામદારોને વિવિધ પ્રકારની સહાય, વ્યવસાયિક સુરક્ષા અને અનેક પ્રકારની સમૃદ્ધિ યોજનાનો લાભ મળશે. જે કાયમી ડોળીનો વ્યવસાય કરે છે તેવા ડોળી કામદારોને યોગ્ય વળતર અને મહદ્ અંશે કામ મળે તે માટેની સુવ્યવસ્થિત યોજના જૈન સંઘના શ્રેષ્ઠિઓ દ્વારા ગુરુ ભગવંતના માર્ગદર્શન હેઠળ વિચારવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 7:26 am

લોકાપર્ણ:ભાવનગર બ્લડ બેંકને રક્તદાન મોબાઈલ વાનનું લોકાર્પણ કરતા જગદીશભાઈ વિશ્વકર્મા

ભાવનગર બ્લડ બેંકને જીતુભાઈ વાઘાણી તથા મધુસિલિકાના આર. વી. શાહ તથા દર્શકભાઈ શાહના આર્થીક સહયોગથી અત્યાઆધુનિક બ્લડ બેંક મોબાઈલ વાનનું લોકાર્પણ ઇસ્કોન ક્લબ ખાતે કરાયુ. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે તથા જીતુભાઈ વાઘાણી તથા કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા, નીમુબેન બાંભણીયા, ક્રૌશિકભાઈ વેકરીયા ધારાસભ્ય સેજલબેન પંડયાની ઉપસ્થિતિમાં મધુસીલિકાના આર. વી. શાહ તથા બ્લડ બેંકના ચેરમેન ડો. વી એમ ધાનક, ટ્રસ્ટી ડૉ. નીલુભાઈ વૈષ્ણવ, બીપીનભાઈ મહેતા, તુષારભાઈ જયસ્વાલ, બીનાબેન મહેતા, હેમલભાઈ વૈષ્ણવ તથા આર્જવભાઈ મહેતાને મોબાઈલ વાનની કી અર્પણ કરવામાં આવેલ હતી. જીતુભાઈ વાઘાણીએ જણાવેલ કે ભાવનગર બ્લડ બેંક શહેરની 42 વર્ષ જૂની સંસ્થા છે. અને તેઓ રક્તદાન તથા થેલેસેમિયાના બાળકોને બ્લડ ટ્રાન્સફ્યુઝન તથા અન્ય સ્વાસ્થ્ય અને HIV એઇડ્સ અંગેની સરાહનીય કામગીરી ભાવનગર શહેર અને જીલ્લામાં કરે છે. આ પ્રસંગે સ્વામીનારાયણ ગુરુકુળના કે. પી. સ્વામી, ઇસુબાપુ, સાધુ સંતો તથા મેયર ભરતભાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા તથા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કુમારભાઈ શાહ તથા જીલ્લા અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ ઉપસ્થિત રહેલ. તેમજ શહેરના શ્રેષ્ઠીઓ વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ, જ્ઞાતિ મંડળો, વેપારી સંગઠનો અને કેમ્પ આયોજકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 7:23 am

સન્માન:તેજસ્વી વિદ્યાર્થિનીઓનું સામાજિક ન્યાય મંત્રીના હસ્તે સન્માન કરાયું

સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાએ ભાવનગર ખાતે અનુસૂચિત જાતિની ભાણિમા કન્યા છાત્રાલયની મુલાકાત લીધી હતી તેમજ ભાણિમા કન્યા છાત્રાલય મેઘાણી સર્કલ ખાતે શૈક્ષણિક ક્ષેત્રે પ્રતિભાવાન વિદ્યાર્થિનીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. મંત્રીએ છાત્રાલયની મુલાકાત પહેલા જશોનાથ સર્કલ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પુષ્પાંજલિ અર્પણ કરી હતી, ત્યારબાદ વાલ્મિકી વસાહત કરચલિયાપરા ખાતે મહિલા કાર્યકર્તા રેખાબેન બારૈયાના નિવાસ સ્થાને વસાહતની મુલાકાત કરી ખાટલા બેઠક કરી હતી. મંત્રીએ અનુસૂચિત જાતિની છાત્રાલય મેઘાણી સર્કલ ખાતે ભાણિમા કન્યા છાત્રાલયની મુલાકાત લઈ વિદ્યાર્થીઓના અભ્યાસ બાબતે જરૂરી સૂચન કર્યું હતું. છાત્રાલયમાં વિદ્યાર્થિનીઓ સાથે ભોજન લીધું હતું. ભાવનગરની મુલાકાત વેળાએ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાએ અનુસૂચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર સંચાલિત ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કન્યા છાત્રાલયની પણ મુલાકાત લીધી હતી. કુંભારવાડા ખાતે અગ્રણી જીવરાજભાઈ રાઠોડના નિવાસ સ્થાને પ્લાસ્ટિક યુનિટની મુલાકાત લઈ પ્લાસ્ટિક યુનિટ એસોસિએશનના પ્રશ્નો સાંભળ્યા હતા. ત્યારબાદ ચિત્રા GIDC ખાતે ઔદ્યોગિક ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બદલ પિનાકિનભાઇ સોલંકીનું સન્માન કર્યું હતું. દલિત અધિકાર સંઘ દ્વારા વિવિધ પ્રશ્ને રજૂઆતમંત્રી પ્રદ્યુમનભાઈ વાજાની ભાવનગરની મુલાકાત દરમિયાન ભાવનગર દલિત અધિકાર સંઘ દ્વારા પ્રદેશ મહામંત્રી મોહનભાઇ બોરીચાની આગેવાની હેઠળ અનુસૂચિત જાતિના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરાઇ હતી. જેમાં શહેરમાં આવેલા ડો.આંબેડકર ભવનની રૂ. 98 લાખ રિનોવેશનની ગ્રાન્ટની ફાળવણી, સરકારી અનુ. જાતિ કન્યા છાત્રાલય, જેલ રોડ ખાતે વહલે તકે બન્ને કામ શરૂ કરવા તેમજ અનુ. જાતિના ગ્રાન્ટ ઇન એડ છાત્રાલયના કર્મચારીઓના પગાર વધારાની માગ કરાઇ હતી.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 7:22 am

મંદિરમાં ચોરી:માંડવી ગામે ચામુંડા માતાના મંદિરમાંથી છત્તરની ચોરી

ગારીયાધાર તાલુકાના માંડવી ગામે રહેતા મહિપતભાઈ મગનભાઈ ડુમરાળિયા કે તેઓ એ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેમના ગામમાં પોતાના કુળદેવી ચામુંડા માતાનો મઢ આવેલો છે તેમાં તેઓ સેવા પૂજા કરે છે. ત્યારે તા 19/11 ના સાંજે માતાજીના મંદિરે આરતી પૂજા કરી મુખ્ય દરવાજે તાળું મારી ગયા હતા, ત્યારે સવારે 20/11 ના માતાજીના મઢ ના દરવાજા ખુલ્લા અને વસ્તુઓ હતી તેથી ગામના આગેવાનો નજીકમાં રહેતા લોકોને ભેગા કરી ચોરી થયાની માહિતી આપતા માતાજીના મંદિરમાં ચડાવેલા સોના ચાંદીના છત્તર અને ચાંદીનો મુગટ અંદાજે કિંમત 1 લાખ 31 હજાર નો મુદ્દા માલ કોઈ અજાણ્યો ચોર ચોરી ગયો હોય તેવી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 7:21 am

ગાંજો ઝડપાયો:શહેરના રાણીકા વિસ્તારમાંથી 113 ગ્રામ ગાંજો ઝડપાઈ ગયો

ભાવનગરમાં વધતા ગાંજાના દૂષણ સામે શહેરના રાણીકા વિસ્તારમાંથી પોતાના ઘરમાંથી જ આરોપી પ્લાસ્ટિકની પારદર્શક કોથળીઓમાં ગાંજાનું વેચાણ કરતો હતો. આરોપી અગાઉ પણ નારકોટિક્સના ગુનામાં સંડોવાયેલો હોવાની બાતમીના આધારે પોલીસે આરોપીના ઘરે દરોડા પાડી 113 ગ્રામ ગાંજાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભાવનગરમાં ગાંજાનું વેચાણ અને વાવેતર ના કિસ્સાઓ અનેક વખત ઝડપાયા છે ત્યારે ભાવનગર શહેરના રાણીકા વિસ્તારમાં વ્યક્તિ પોતાના ઘરમાંથી જ ગાંજાનુ વેચાણ કરતો હોય તે બાતમીના આધારે, પોલીસે બાતમી વાળી જગ્યા દાંતિયાવાળી શેરી થી પટેલ ફળીમાં મોમાઈ કૃપા નામના મકાનની સામે બે માળનું પાકું મકાન આવેલું છે. ત્યાં એ વ્યક્તિ ને નામ પૂછતા તે ખુદ આરોપી અરવિંદ ઉર્ફે નાનું બોઘાભાઈ ચૌહાણ હોય જેથી પોલીસે તેના ઘરમાં દરોડા પાડી તેના મકાનમાં ઉપરના માળે જવાની સીડી નીચે આચ્છા ગુલાબી કલરની કપડાની થેલી માંથી પારદર્શક પ્લાસ્ટિકની કોથળીઓમાં પડીકી બનાવી ગાંજો પડ્યો હોય તેથી પોલીસે તેનો વજન કરાવતા 113 ગ્રામ ગાંજા સહિત આરોપીને ઝડપી પાડ્યો હતો . સાથે જ આરોપી અરવિંદ ઉર્ફે નાનું બોઘાભાઈ ચૌહાણ અગાઉ પણ નાર્કોટિક્સના ગુનામાં પકડાયેલો હોય તેથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 7:20 am

વીજકાપ:શહેરમાં સોમવારથી જુદા જુદા વિસ્તારોમાં વીજકાપ જાહેર

ચોમાસા બાદ પોસ્ટ મોન્સુન કામગીરી અનુસંધાને પી.જી.વી.સી.એલ. ભાવનગર સિટી-1 ડિવિઝન દ્વારા આગામી તા.24 નવેમ્બર-2025 સોમવાર થી તા.26 નવેમ્બર-2025 બુધવારે 11 કે.વી.ના ફિડરોમાં ત્રણ દિવસ સવારે 7 થી બપોરના 1 સુધી છ કલાકનો વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે. વીજળીની લાઈનોની મરામતની કામગીરીથી તા.24 નવેમ્બર-2025 સોમવારે 11 કે.વી. વેજીટેબલ ફિડર (આંશિક) નીચે આવતા સહકારી ઘાણો, ત્રિવેણી રોલિંગ મિલ (એચ.ટી. કનેક્શન), રૂવાપરી રોડ, રૂવાપરી ચોક, ગોરડ સ્મશાનવાળો ખાંચો, હેલિયો સેન્ટ્રિક (એચ.ટી.કનેક્શન) તથા આજુબાજુના વિસ્તારમાં વીજકાપ રહેશે. તેમજ તા.25 નવેમ્બર-2025 મંગળવારે 11 કે.વી. માઢીયા ફિડર (આંશિક) નીચે આવતા ઠક્કર બાપા સોસાયટી, નારી રોડ, ખાતર વાડી વિસ્તાર, બાનુબેનની વાડી તથા આજુબાજુના વિસ્તારમાં કામગીરીના સમય દરમિયાન વીજકાપ રહેશે. આ ઉપરાંત તેમજ તા.26 નવેમ્બર-2025 બુધવારે 11 કે.વી. પોર્ટ કોલોની ફિડર (આંશિક) નીચે આવતા પોર્ટ કોલોની, ડાયા પોલાની લાતી, ભાવનગર કિડ્સ, રાજા સ્લેટ તેમજ આસપાસના વિસ્તાર, રીના ટાઇલ્સ અને જી.એમ.બી. ક્વાટર્સ વિસ્તારમાં કામગીરીના સમય દરમિયાન વીજકાપ રહેશે.પીજીવીસીએલ દ્વારા મરામતની કામગીરી વહેલું પૂર્ણ થયે કોઈપણ જાતની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુનઃ શરૂ કરી દેવામાં આવશે તેમ સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 7:19 am

શિપના કેપ્ટનને હેરાનગતિ:શિપના કેપ્ટનનો પાસપોર્ટ આંચકી લેનાર કસ્ટમ કર્મી બરાબર ભીડાયા

અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડમાં ભંગાવવા માટે આવેલા એક જહાજના કેપ્ટન પાસેથી યેનકેન પ્રકરણે મોટી રકમનો તોડ કરવાના હેતુથી હેરાનગતિ ઉભી કરી રહેલા કસ્ટમ્સ કર્મચારીએ કેપ્ટનનો પાસપોર્ટ આંચકી લેતા તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા, અને ઉચ્ચ અધિકારીઓએ દરમિયાનગીરી કરતા અને સંડોવાયેલા અધિકારીએ માફા-માફી કરી હતી અને સમગ્ર મામલો સંકેલાઇ ગયો હતો. ભંગાણાર્થે આવતા જહાજોનું કસ્ટમ્સના અધિકારીઓ દ્વારા બહાર પાણીએ બોર્ડિંગ કરવામાં આવે છે. અલંગમાં આવેલા એક જહાજમાં અવનવા વાંધા-વચકા કાઢી કેપ્ટનને ભીડવવાના કામમાં કસ્ટમ અધિકારી લાગી ગયા હતા, અને વાત-વાતમાં કેપ્ટનનો પાસપોર્ટ આંચકી લીધો હતો. દરમિયાન વાતાવરણ ગરમ થતા દરિયામાંથી વાત કાંઠે ઓફિસો સુધી પહોંચી હતી, અને કેપ્ટનના દેશની એમ્બેસીમાં ફરિયાદ કરવાની તજવીજ શરૂ થઇ હતી. કસ્ટમ અધિકારીએ હાથ નાંખતા નંખાય ગયો, બાદમાં શિપની સાથે કોણ સંકાળયેલા છે અને તેઓના રાજકીય છેડા, કસ્ટમ્સના ટોચના અધિકારીઓ સાથેના સંબંધ અંગે ભણક લાગતા માફા-માફી કરી અને મામલો થાળે પાડવામાં આવ્યો હતો. જો કે, ભાવનગર કસ્ટમ્સના અધિકારીઓએ પણ નિયત કામગીરીમાં અડચણ ઉભી કરી અને કેપ્ટનને હેરાન કરી રહેલા કર્મચારીનો ઉધડો લીધો હતો. આ મામલે સ્થાનિક કક્ષાએ શિપિંગ વર્તુળોમાં ભારે ચર્ચાઓ વહેતી થઇ હતી.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 7:19 am

શહેર અને જિલ્લામાં ભાજપ દ્વારા આયોજન:SIRના બુથ પર ભાજપના કાર્યકરો આજે તંત્ર સાથે રહેશે

મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત આવતીકાલ તારીખ 23ને રવિવારે ભાવનગર શહેર અને જિલ્લાના બૂથ પર બીએલઓ દ્વારા એસઆઇઆરની કામગીરી કરવામાં આવનાર છે. જેમાં ભાવનગર શહેર અને છેલ્લા ભાજપના હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ અને કાર્યકરો તંત્રને મદદરૂપ થવા માટે સાથે રહેશે. તા.23ને રવિવારના રોજ ચૂંટણી પંચ દ્વારા થનારી SIR ની ડ્રાઈવમાં લોકોને મદદરૂપ થવા માટે ભાવનગર શહેર ભાજપના શહેર અને વોર્ડના તમામ હોદ્દેદારો, સાંસદ, ધારાસભ્યો, કોર્પોરેશનના પદાધિકારીઓ, નગરસેવકો, વરિષ્ટ આગેવાનો, તમામ સેલ મોરચા અને સમિતિઓના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ લોકોને માર્ગદર્શન આપવા તેમજ મદદરૂપ થવા માટે થઈને તંત્રની સાથે SIR ની કામગીરીમાં સહયોગ કરશે. તેમજ ભાવનગર જીલ્લાના તમામ બુથો પર SIR ની ડ્રાઈવમાં જિલ્લા ભાજપા દ્વારા બીએલઓ 2 એટલે કે ભાજપના કાર્યકરો આગેવાનો સહયોગ માટે 1532 બુથ પર મતદારોને અને BLO -1ને મદદરૂપ થવા કાર્યવાહી કરશે. જિલ્લા ભાજપની ટીમ, ભાવનગર તાલુકાની ટીમ તમામ બુથો પર ઉપસ્થિત રહી મતદારો ચુટણી તંત્રને સહયોગ કરશે. જે કોઈ મતદારો 2002 ની મતદાર યાદી અંગે દ્વિધામાં છે તેઓને જણાવાયું છે કે હાલમાં તે અંગે કોઈપણ પ્રક્રિયા કરવી નહીં. આવતીકાલ તા.23ને રવિવારે સવારે 9થી 1 વાગ્યા સુધી બીએલઓની સાથે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો પણ બુથ પર ઉપસ્થિત રહેશે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 7:18 am

જોખમી કચરા બાબતે GPCB તંત્ર તંદ્રાવસ્થામાં:બે દિવસથી તળાજાના દરિયાઈ તટના ગામોમાં ઠલવાઈ રહ્યો છે અલંગ યાર્ડના શિપનો કચરો

એક સમયે વારંવારના અકસ્માતો, બેફામ પ્રદૂષણ અને બિનનિયંત્રીત કામગીરીને કારણે સમગ્ર વિશ્વમાં કૂખ્યાત બનેલા અલંગ શિપ રીસાકલિંગ યાર્ડને પોતાની છબી આંતરરાષ્ટ્રીય સ્તરે સુધારવામાં દાયકા લાગ્યા હતા, બાદમાં હોંગકોંગ કન્વેન્શન સહિતના આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ આંગળીના વેઢે ગણી શકાય તેટલા ઉદ્યોગકારો દ્વારા દરિયામાં બેફામ કચરો ઠલવાઇ રહ્યો છે, જેના કારણે તળાજા તાલુકાના દરિયાકાંઠાના ગામોમાં છેલ્લા બે દિવસથી સતત કચરો તણાઇને આવી રહ્યો છે. અલંગમાં ભંગાણાર્થે આવતા જહાજમાં અનેક પ્રકારના કચરા સામેલ હોય છે, જેને નિયત ડિસ્પોઝલ વ્યવસ્થાના માધ્યમથી નિકાલ કરવાનો નિયમ છે. પરંતુ શિપ બ્રેકરો દ્વારા શોર્ટકટ અપનાવવામાં આવે છે. અમુક શિપબ્રેકરોની કાર્યપધ્ધતિને કારણે સમગ્ર વ્યવસાય પુન: બદનામ થઇ રહ્યો છે.ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) દ્વારા અલંગ અને તેની આજુબાજુના ગામોના દરિયાકાંઠે મોનિટરિંગ કરવાનું હોય છે, પરંતુ વાતાનુકુલીત કચેરીની બહાર જવાની તસ્દી તંત્ર દ્વારા લેવામાં આવતી નથી, પરિણામે અલંગની આજુબાજુ પ્રદૂષણની સમસ્યા દિવસે-દિવસે વકરતી જાય છે. અલંગ અને તેની આજુબાજુના ગામોમાં પર્લાઇટ પાવડર ઉડી રહ્યો છે અને ગ્રામ્યજનોને શ્વસન પ્રક્રિયામાં પણ તકલીફ નડી રહી છે. છેલ્લા બે દિવસથી તળાજા તાલુકાના ગામોના દરિયાકાંઠે જહાજનો કચરો તણાઇને આવી રહ્યો છે, તેના અંગે વીડિયો વાયરલ થયા બાદ જીપીસીબી તંત્ર હરકતમાં આવ્યુ છે. બહારપાણીએ આવતા જહાજોનું ચેકિંગ કરવા જીપીસીબીના અધિકારીઓ જાય જ છે, તો શિપમાં પર્લાઇટ પાવડરનો કેટલો જથ્થો છે? તેનો નિકાલ કઇ રીતે કરવામાં આવશે તેના અંગે જીપીસીબી દ્વારા આંખ આડા કાન શા માટે કરવામાં આવી રહ્યા હશે તે બાબત પણ શંકાના વર્તુળમાં છે. તપાસ ચાલુ છે, કાર્યવાહી કરવામાં આવશેદરિયાના પાણીમાં પ્રદૂષણ ફેલાઇ રહ્યા અંગે જીપીસીબીની ટુકડી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, જે કોઇ પણ શિપબ્રેકર દ્વારા આવું કૃત્ય કરવામાં આવી રહ્યું હશે તેઓને છોડવામાં આવશે નહીં, કડક કાર્યવાહી તો થશે જ. > એન.એમ.કાવર, પ્રાદેશિક અધિકારી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ભાવનગર કૃત્ય કરે અમુક, બદનામ થાય છે સમગ્ર અલંગનો ઉદ્યોગજોખમી કચરા સંચાલન માટેની ગેપિલ સાઇટ પણ બનાવવામાં આવી છે, અહીં ક્ષુલ્લક ચાર્જથી કચરો સ્વીકારવામાં આવે છે, પરંતુ અલંગમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા શિપ બ્રેકરો પોતાના જહાજનો કચરો ગેપિલમાં મોકલવાને બદલે દરિયામાં પધરાવે છે, અને તેના કારણે આજુબાજુના ગામોના દરિયાકાંઠે પ્રદૂષણ ફેલાય છે, અને સમગ્ર ઉદ્યોગ બદનામ થાય છે. સ્વાર્થી વૃત્તિ ધરાવતા શિપબ્રેકરોને કાબૂમાં લાવવા SRIAએ પણ લાલ આંખ કરવી જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 7:18 am

ભાસ્કર નોલેજ:શિયાળુ પાક માટે 5 દિવસમાં 2500‎ધરતીપુત્રોને પ્રાકૃતિક ખેતીની તાલીમ‎

ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોને રાસાયણિક ખાતર અને જંતુનાશક થી મુક્ત ખેતીની વૈજ્ઞાનિક પદ્ધતિથી માહિતગાર કરવા માટે ભરૂચ આત્મા પ્રોજેક્ટ તરફથી શિયાળુ પાકોની પ્રાકૃતિક ખેતી અંગે વ્યાપક ઓરિએન્ટેશન તેમજ જાગૃતિ માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 17 નવેમ્બરથી ચાલી રહેલી તાલીમમાં ઘઉં, ચણા તથા શાકભાજી અને કઠોળ જેવા પાકની પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ, બીજ સંસ્કારમાં બીજામૃતનો ઉપયોગની માહિતી અપાય હતી. સાથે જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતા વધારવા માટે જીવામૃત, ઘન જીવામૃતની બનાવટ અને ઉપયોગ સાથે આચ્છાદન પદ્ધતિઓ, ખેતરમાં જૈવ વિવિધતા વધારવા જેવા મહત્વના વિષયો પર વિશેષજ્ઞોએ માર્ગદર્શન આપ્યું હતું. સાથે પ્રત્યક્ષ રીતે આપવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં 20 ક્લસ્ટરના ગામના 125 મુજબ 2500 ખેડૂતોને રવિ સિઝન માટેની જિલ્લા અંદરની તાલીમો આપવામાં આવી છે. તાલીમ શરૂ કરતાં પહેલાં તાલીમાર્થીઓને સ્વદેશી અપનાવવા અને આત્મનિર્ભર બનવા અંગેના શપથ પણ લેવડાવવામાં આવી રહી છે. આમ અંદાજે 12 દિવસમાં 7 હજારથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તાલીમ માં આવરી લેવામાં આવશે. પ્રાકૃતિક ખેતીમાં તૂવેર, ભીંડા, શેરડી તેમજ કેળાનું વાવેતર વધુ કરાય છેભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે 20772 હેક્ટર વિસ્તારમાં 24524 ખેડૂતોએ પ્રાકૃતિક રીતે ખેતી પાક કર્યો છે. જિલ્લામાં પ્રાકૃતિક પદ્ધતિથી તુવેર, ભીંડા, શેરડી તેમજ કેળા જેવા પાકો કરવામાં આવે છે. તેમજ ખેડૂતોએ ઉગાડેલા આ પાકોને સારો ભાવ મળી રહે તે માટે જિલ્લામાં કુલ 49 વેચાણ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા છે. જ્યારે પ્રાકૃતિક રીતે ઉગાડેલી સામગ્રીનું વેચાણ કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 7:17 am

રોલિંગ મિલ, કાળીયાબીડ ખાતે ડીજીજીઆઇનું સર્ચ ઓપરેશન:GST ઇન્ટેલિજન્સ વિંગ દ્વારા શહેરમાં કરચોરી અંગે સર્ચ ઓપરેશન હાથ ધરાયુ

ક્રિકેટના સટ્ટાની મોબાઇલ એપ્લિકેશન સાથે સંકળાયેલા અને રોલિંગ મિલ ધારકને ત્યાં ડાયરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (ડીજીજીઆઇ) દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ, અને અધિકારીઓ દ્વારા હિસાબી સાહિત્યની ચકાસણી, મોબાઇલ સહિતના ડેટા અને અગાઉ અન્ય જગ્યાએથી મળેલી લિન્કની વિગતો એકત્ર કરવામાં આવી હતી. થોડા સમય અગાઉ કોલકત્તાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇ.ડી.) દ્વારા ક્રિકેટના સટ્ટાની મોબાઇલ એપ્લિકેશન બાબતે ભાવનગરમાં ખાંખા-ખોળા કરવામાં આવ્યા હતા, અને તે સમયે અભય બની અધિકારીઓ સાથે શાબ્દિક ઘર્ષણ કરનારા શખ્સના ડિજીટલ ડેટામાંથી તંત્ર દ્વારા અનેક કનેકશનો શોધી કાઢવામાં આવ્યા હતા, અને આ મામલાની અન્ય તપાસ દુબઇ સુધી પણ લંબાઇ છે. અમદાવાદ ડીજીજીઆઇને પણ જીએસટી કરચોરી અંગેની માહિતી મળતાની સાથે જ ભાવનગરના કાળીયાબિડ વિસ્તારમાં નિવાસ્થાન ધરાવતા રોલિંગ મિલ માલીકને ત્યાં કાર્યવાહી કરવામાં આવી હતી, અને અધિકારીઓએ અલગ અલગ ટુકડીઓ બનાવી અને રોલિંગ મિલ ખાતે પણ તપાસ કરી હતી. ડીજીજીઆઇ દ્વારા ભાવનગર ખાતે કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન ડિજીટલ ડેટા, હિસાબી સાહિત્ય અને ક્રિકેટ સટ્ટાની એપ સાથે શું કનેકશન છે તેના અંગે તલસ્પર્શી ચકાસણી કરવામાં આવી હતી. રોલિંગ મિલ ધારકના પુત્રના મિત્રની સંડોવણી ક્રિકેટ સટ્ટાના વિદેશી લોકો સાથે પણ છે, અને દેશની વિવિધ એજન્સીઓ પણ તે દિશામાં તપાસ કરી રહી છે. અગાઉ પણ તેને ત્યાં તપાસ કરવામાં આવેલી હતી. ડીજીજીઆઇની કાર્યવાહી અંગે જીલ્લાના રોલિંગ મિલ ઉદ્યોગના માલીકોમાં પણ ભારે ચર્ચાઓ થઇ રહી હતી.

દિવ્ય ભાસ્કર 23 Nov 2025 7:16 am