વલસાડ શહેરના પોશ વિસ્તાર ગણાતા તિથલ રોડ પર આવેલી 'સરદાર હાઇટ્સ'ના સાબરમતી બિલ્ડિંગમાં આજે બપોરે એક મોટી દુર્ઘટના ટળી હતી. બિલ્ડિંગની લિફ્ટમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા તે ઉપરથી નીચે પટકાઈ હતી. આ ઘટના સમયે લિફ્ટમાં સવાર એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો, જોકે આ અકસ્માતને પગલે રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો છે. આખો બનાવ શું છે?પ્રાપ્ત માહિતી અનુસાર, સાબરમતી બિલ્ડિંગમાં રહીશો લિફ્ટનો ઉપયોગ કરી રહ્યા હતા ત્યારે અચાનક જોરદાર અવાજ સાથે લિફ્ટ બેકાબૂ બની સીધી નીચે ખાબકી હતી. ધડાકાભેર લિફ્ટ પટકાવાનો અવાજ સાંભળી આસપાસના રહીશો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લિફ્ટમાં ફસાયેલી વ્યક્તિને સુરક્ષિત બહાર કાઢી હતી. મેઈન્ટેનન્સ અંગે ગંભીર આક્ષેપોબિલ્ડિંગના રહીશોએ લિફ્ટ મેઈન્ટેનન્સ કરતી એજન્સી સામે રોષ ઠાલવતા આક્ષેપ કર્યો છે કે, લિફ્ટના નિયમિત જાળવણી માટે દર મહિને ચાર્જ વસૂલવામાં આવે છે, તેમ છતાં સુરક્ષા વ્યવસ્થામાં ઘોર બેદરકારી રાખવામાં આવે છે. અગાઉ પણ લિફ્ટમાં નાની-મોટી ખામીઓ સર્જાઈ હતી અને તે અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નહોતી. લિફ્ટના મેઈન્ટેનન્સની જવાબદારી ઓમેગા એલેવેટર્સ (Omega Elevators) નામની કંપની પાસે છે. રહીશોએ સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે લિફ્ટ નીચે પટકાઈ ત્યારે તેની સેફ્ટી સેન્સર અને ઈમરજન્સી બ્રેક સિસ્ટમ કેમ કાર્યરત થઈ નહીં? સત્તાવાળાઓની કાર્યવાહીઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને લિફ્ટને સીલ કરી ટેક્નિકલ તપાસના આદેશ આપ્યા છે. બીજી તરફ, ઓમેગા એલિવેટર્સની ટીમે પ્રાથમિક મુલાકાત લીધી હતી, પરંતુ ધુળેટીના પર્વને કારણે આગામી દિવસે વિગતવાર તપાસ કરવામાં આવશે તેમ બિલ્ડિંગના પ્રમુખને જાણ કરવામાં આવી છે. બેદરકારીનો ગુનો નોંધવાની તજવીજપોલીસ દ્વારા આ મામલે બેદરકારીનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ વલસાડની બહુમાળી ઈમારતોમાં લિફ્ટની સુરક્ષા અને મેઈન્ટેનન્સના ધોરણો સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન ખડા કર્યા છે.
ગોધરા રેલ્વે સ્ટેશન નજીક ચાલુ ટ્રેનમાંથી પડી ગયેલા એક મુસાફરનો રેલ્વે પોલીસે જીવ બચાવ્યો છે. પોલીસે ઇજાગ્રસ્ત મુસાફરને અડધો કિલોમીટર સુધી ઝોળીમાં ઊંચકીને 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યો હતો. આ ઘટના ઉધનાથી અયોધ્યા કેન્ટ જતી સ્પેશિયલ ટ્રેનમાં બની હતી. બિહારના મધુબની જિલ્લાના 26 વર્ષીય મુસાફર ગોવિંદ કુમાર દુબે જનરલ કોચના દરવાજા પાસે ઊભા હતા ત્યારે અચાનક ચાલુ ટ્રેનમાંથી પડી ગયા હતા. તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી અને તેઓ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. બનાવની જાણ થતાં જ રેલ્વે પોલીસ (RPF અને GRP)ના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા. અકસ્માત સ્થળ એવું હતું જ્યાં એમ્બ્યુલન્સ સીધી પહોંચી શકે તેમ નહોતી. મુસાફરની નાજુક હાલત જોતા, જવાનોએ સમય ગુમાવ્યા વિના કાપડની ઝોળી બનાવી. આ ઝોળીમાં ઇજાગ્રસ્ત મુસાફરને સુવડાવીને આશરે અડધો કિલોમીટર સુધી રેલ્વેના પાટા અને દુર્ગમ રસ્તો વટાવી સુરક્ષિત રીતે 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત મુસાફરને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.
પંચમહાલ SOGએ ફરાર વોન્ટેડ આરોપીને ઝડપ્યો:પશુ સંરક્ષણ ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો હતો
પંચમહાલ SOGએ પશુ સંરક્ષણ ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી આરીફ અબ્દુલ રહીમને ઝડપી પાડ્યો છે. આરોપીને ઘોઘંબા તાલુકાના ખીલોડી ખાતેથી પકડવામાં આવ્યો હતો. આરોપી મોરવા (હ) પોલીસ સ્ટેશનમાં ગુજરાત પશુ સંરક્ષણ (સુધારા) અધિનિયમ હેઠળ નોંધાયેલા ગંભીર ગુનામાં સંડોવાયેલો હતો અને છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપી ફરાર હતો. SOG પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે, નાટાપુર, તા. મોરવા-હનો રહેવાસી આરોપી આરીફ અબ્દુલ રહીમ ઝડપાયો હતો. આરોપી વિરુદ્ધ પશુ સંરક્ષણ ધારાની વિવિધ કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ-325 હેઠળ ગુનો નોંધાયેલો છે. SOG ટીમે આરોપીને દામાવાવ પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ચંદ્રુમાણા આંગણવાડીમાં ધૂળેટી પર્વની ઉજવણી:બાળકોને અબીલ-ગુલાલ અને કુદરતી રંગોથી મનોરંજન કરાવાયું
ચંદ્રુમાણા ગામના રોહિત વાસ નાકા પાસે આવેલા આંગણવાડી કેન્દ્રમાં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બાળકોને અબીલ-ગુલાલ અને કુદરતી રંગો લગાવીને મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન હોળી સજાવવામાં આવી હતી અને બાળકોને હોળી-ધૂળેટી પર્વનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ ઉજવણીનો મુખ્ય હેતુ બાળકોમાં તહેવારો પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમને આનંદ આપવાનો હતો. આ કાર્યક્રમમાં સરપંચ કાજલબેન વ્યાસ, આઈસીડીએસના પ્રોગ્રામ ઓફિસર રંજનબેન શ્રીમાળી, મુખ્ય સેવિકા નીલમબેન ગજ્જર, ગામના અગ્રણીઓ ભાનુભાઈ વ્યાસ, અશ્વિનભાઈ વ્યાસ, જયંતીભાઈ પટેલ, અનિલભાઈ વ્યાસ, તેમજ આંગણવાડી કાર્યકરો દીપાબેન રાવલ, વર્ષાબેન વ્યાસ, તેડાગર બહેનો, બાળકો અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
શહેરના ગોડાદરા વિસ્તારમાં વર્ષ 2015માં થયેલી ચકચારી હત્યાના કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કુખ્યાત ગણાતા સંજય ઉર્ફે સંજય ગોલ્ડન અભિમાન્યુ સીરસાટેની હત્યાના આરોપમાં પકડાયેલા બે શખસને કોર્ટે પુરાવાના અભાવે છોડી મૂક્યા છે. ફરિયાદ પક્ષ આરોપીઓ વિરુદ્ધ ગુનો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો હોવાનું કોર્ટે અવલોકન કર્યું હતું. લારી-મકાન ખાલી કરવા બાબતે થયો હતો વિવાદઆ કેસની વિગત મુજબ, મૃતક સંજય ગોલ્ડન ગોડાદરા વિસ્તારમાં માથાભારે છાપ ધરાવતો હતો. તેણે ગોડાદરા મહાદેવનગરમાં રહેતા કનુ ગોબર રબારીની માસીની જગ્યા પર બળજબરીથી ચાઈનીઝની લારી મુકાવી હતી. આ લારીનું ભાડું પણ સંજય પોતે જ વસૂલતો હતો. આટલું જ નહીં, સંજયે કનુની માસીનું મકાન પણ એક યુવકને ભાડે અપાવ્યું હતું અને મકાન ખાલી ન કરવા માટે ભાડુઆતને ચઢામણી કરતો હતો. સંજયના સતત ત્રાસથી કંટાળીને કનુની માસીએ પોતાનું મકાન સસ્તામાં વેચી દેવું પડ્યું હતું. ‘તમારા સગા ભાગી ગયા, હવે તમને પણ ભગાડી દઈશ’મકાન વેચાયા બાદ પણ સંજયની દાદાગીરી શાંત પડી નહોતી. તેણે કનુ રબારીને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. સંજયે કનુને રસ્તામાં રોકી ગાળાગાળી કરી ધમકાવ્યો હતો કે, તારા સગાઓ મિલકત વેચીને ભાગી ગયા છે, હવે હું તમને પણ અહીંથી ભગાડી દઈશ. આ સતત મળતી ધમકીઓ અને સંજયના આતંકથી કંટાળીને કનુ રબારી અને તેના સાથી મુકેશ અમરત રબારીએ સંજયથી કંટાળી ગયા હતા. 2015માં તલવારના ઘા ઝીંકી સંજય ગોલ્ડનની કરી હતી હત્યાઆ આંતરિક અદાવતનું પરિણામ 28 નવેમ્બર, 2015ના રોજ લોહીયાળ જંગમાં આવ્યું હતું. ગોડાદરાની મહર્ષિ આસ્તીક સ્કૂલ સામે સંજય ગોલ્ડન પર તલવાર વડે હિંસક હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર ઈજાઓ થવાને કારણે સંજયનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે લીંબાયત પોલીસે કનુ રબારી અને મુકેશ રબારી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કોર્ટમાં ફરિયાદ પક્ષ મજબૂત પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યોઆ કેસ સુરતની કોર્ટમાં ચાલવા ઉપર આવતા બચાવ પક્ષના વકીલો કેતન રેશમવાલા, કલ્પેશ દેસાઈ અને નીરજ દેસાઈએ દલીલો કરી હતી. તેમણે રજૂઆત કરી હતી કે આરોપીઓ સામેના પુરાવાઓ અપૂરતા છે. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નોંધ્યું કે ફરિયાદ પક્ષ આરોપીઓ પરનો ગુનો નિઃશંકપણે પુરવાર કરી શક્યો નથી. પરિણામે, શંકાનો લાભ આપીને કોર્ટે કનુ અને મુકેશ રબારીને હત્યાના આરોપમાંથી નિર્દોષ મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
મંત્રી મનીષાબેન વકીલે સંખેડા ફર્નિચર કેન્દ્રની મુલાકાત લીધી:સખી મંડળની મહિલાઓ સાથે રંગકામમાં જોડાયા
મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી મનીષાબેન વકીલે આજે છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે સખી મંડળ દ્વારા સંચાલિત સંખેડા ફર્નિચર કેન્દ્રની મુલાકાત લીધી અને જૂના ભાજપ કાર્યકરો સાથે પણ મુલાકાત કરી હતી. સંખેડાના ભાટપુર ખાતે જૂના કાર્યકરોના નિવાસસ્થાને મુલાકાત લીધા બાદ, મંત્રી વકીલ પ્રખ્યાત સંખેડા ફર્નિચર કેન્દ્ર પહોંચ્યા હતા. અહીં તેમણે સખી મંડળની મહિલાઓ દ્વારા કરવામાં આવતા રંગકામનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત, તેમણે જાતે લાખમાંથી બનતા રંગકામમાં ભાગ લીધો અને ફર્નિચરને કલર કર્યો હતો. આ મુલાકાત દરમિયાન, મંત્રી મનીષાબેન વકીલે સંખેડા વિધાનસભા વિસ્તારમાં આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને લઈને સંગઠનના હોદ્દેદારો સાથે પણ ચર્ચા-વિચારણા કરી હતી.
ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યમાં પ્રાકૃતિક કૃષિના વ્યાપ અને તેની પ્રગતિ અંગે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના સંશોધનોના તારણો રજૂ કરવામાં આવ્યા હતા. સંશોધનો દ્વારા સાબિત: ઉત્પાદનમાં ઘટાડો નહીં બેઠકને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા કરવામાં આવેલા વૈજ્ઞાનિક સંશોધનોએ એ સાબિત કરી દીધું છે કે પ્રાકૃતિક ખેતી અપનાવવાથી પાક ઉત્પાદનમાં કોઈ ઘટાડો થતો નથી. રાસાયણિક ખેતીના દુષ્પરિણામો વિશે વાત કરતા તેમણે ઉમેર્યું કે, આજે જમીન, પાણી અને હવા પ્રદૂષિત થઈ રહ્યા છે, જેના કારણે માનવ સ્વાસ્થ્ય પર ગંભીર જોખમો ઊભા થયા છે. પ્રાકૃતિક ખેતી જ આ તમામ પર્યાવરણીય અને સ્વાસ્થ્યલક્ષી સમસ્યાઓનું કાયમી સમાધાન છે. ખેડૂતોની આર્થિક ઉન્નતિ અને પર્યાવરણ સુરક્ષા રાજ્યપાલના મતે, આ પદ્ધતિ માત્ર ધરતીના આરોગ્યને જ નથી સાચવતી, પરંતુ ખેડૂતોના ખર્ચમાં મોટો ઘટાડો કરીને તેમની આર્થિક સ્થિતિ પણ મજબૂત બનાવે છે. તેમણે હરિત ક્રાંતિના પ્રણેતા ડૉ. સ્વામીનાથનને યાદ કરતા કહ્યું કે, જેમ દેશ તેમને યાદ કરે છે, તેમ પ્રાકૃતિક ખેતીના આ અભિયાનમાં યોગદાન આપનારાઓને પણ ભવિષ્યમાં યાદ રાખવામાં આવશે. ગુજરાતમાં આ દિશામાં એક નવી સકારાત્મક ક્રાંતિનો પાયો નંખાઈ રહ્યો છે. ગુજરાત બનશે પ્રાકૃતિક ખેતીનું 'મોડલ સ્ટેટ' કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનો મુખ્ય લક્ષ્યાંક ગુજરાતમાં યુરિયા ખાતરનો ઉપયોગ ન્યૂનતમ સ્તરે લઈ જઈને રાજ્યને દેશભરમાં પ્રાકૃતિક ખેતી માટેનું મોડલ સ્ટેટ બનાવવાનો છે. તેમણે રાજ્યપાલના પ્રયાસોની પ્રશંસા કરતા કહ્યું કે, તેમના સતત માર્ગદર્શન અને તાલુકા સ્તરે ખેડૂતો સાથેના સીધા સંવાદને કારણે આજે લાખો ખેડૂતો આ અભિયાનમાં જોડાયા છે. વહીવટી સમીક્ષા અને ભવિષ્યનું આયોજન બેઠક દરમિયાન જીતુભાઈ વાઘાણીએ ઉચ્ચ અધિકારીઓને જરૂરી સૂચનો આપી કામગીરી વેગીલી બનાવવા તાકીદ કરી હતી. આ મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અગ્ર સચિવ આર.સી. મીણા, સંયુક્ત સચિવ નીતિન સંગવાન સહિત વિવિધ કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ, પશુપાલન વિભાગ અને 'આત્મા' પ્રોજેક્ટના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાથે મળીને પ્રાકૃતિક ખેતીને જનઆંદોલન બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
વિદેશમાં ઊંચા પગારની લાલચ આપી નિર્દોષ ભારતીય યુવાનોને બંધક બનાવી તેઓની પાસે સાયબર ફ્રોડ કરાવતી આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ થયો છે. ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા આ મામલે સુરતના બે શખ્સો સહિત અન્ય એજન્ટો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાયબર ગુલામ બનાવવાનું એક મોટું આંતરરાષ્ટ્રીય કૌભાંડવિદેશમાં ડેટા એન્ટ્રીની નોકરીના બહાને ભારતીય યુવાનોને મ્યાનમાર, લાઓસ અને કંબોડિયા જેવા દેશોમાં લઈ જઈ સાયબર સ્લેવ એટલે કે સાયબર ગુલામ બનાવવાનું એક મોટું આંતરરાષ્ટ્રીય કૌભાંડ સામે આવ્યું છે. ગાંધીનગર CID ક્રાઈમ દ્વારા આ મામલે સુરતના બે મુખ્ય શખ્સો સહિત અન્ય એજન્ટો સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડેટા એન્ટ્રીના કામ માટે 75 હજાર માસિક પગારની લાલચ આપતાપ્રાપ્ત વિગતો અનુસાર, આરોપીઓ સોશિયલ મીડિયા અને એજન્ટો મારફતે યુવાનોને બેંગકોક, થાઈલેન્ડ, મ્યાનમાર અને કંબોડિયા જેવા દેશોમાં ડેટા એન્ટ્રીના કામ માટે 75 હજાર માસિક પગારની લાલચ સાથે મોકલી આપતા હતા. જોકે ભોગ બનનાર જેવા વિદેશ પહોંચે એટલે ચીની ગેંગના એજન્ટો તેઓના પાસપોર્ટ અને મોબાઈલ જપ્ત કરી લેતા અને તેઓને ગેરકાયદેસર રીતે સરહદ પાર કરાવી મ્યાનમારના ચાઈનીઝ હબમાં બંધક બનાવી દેતા હતા. સોશિયલ મીડિયા પર યુવતીઓના નામે નકલી પ્રોફાઈલ બનાવડાવતાબાદમાં બંધક બનાવવામાં આવેલા યુવાનો પાસે આરોપીઓ સોશિયલ મીડિયા પર યુવતીઓના નામે નકલી પ્રોફાઈલ બનાવડાવતા હતા. આ નકલી પ્રોફાઈલ દ્વારા અમેરિકન અને ભારતીય નાગરિકો સાથે મિત્રતા કેળવી તેઓને વિશ્વાસમાં લઈને ક્રિપ્ટો સ્કેમ અને ડેટિંગ એપ દ્વારા છેતરપિંડી કરવામાં આવતી હતી. જો કોઈ યુવાન આ કામ કરવાની ના પાડે તો તેને શારીરિક અને માનસિક ત્રાસ આપી મજબૂર કરવામાં આવતો હતો. ગાંધીનગર સીઆઈડી ક્રાઈમમાં ચારેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયોઆ નેટવર્કમાં સુરતના મોટા વરાછા વિસ્તારનો કૌશિક અશ્વિનભાઈ પેથાણી અને કામરેજનો ધ્રુવ કનુભાઈ ડોબરીયા મુખ્ય આરોપી તરીકે સામે આવ્યા છે. ધ્રુવ ડોબરીયા પોતે લાઓસમાં ટીમ મેનેજર તરીકે કામ કરતો હતો અને તેની નીચે 20 માણસો આ પ્રકારના સાયબર ગુનાઓ કરતા હતા. જેમાં સહ આરોપીઓ ચેતમન પ્રકાશભાઈ સોની અને મનીષ નારણભાઈ ભાનુશાળી પણ સામેલ છે. આ સમગ્ર કૌંભાંડ ટેક્નિકલ એનાલિસિસમાં બહાર આવતા ગાંધીનગર સીઆઈડી ક્રાઈમમાં ઉક્ત ચારેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
પાટડીના વર્ણીન્દ્રધામ ખાતે મંગલ મહોત્સવ અંતર્ગત રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. હોળીના દિવસે સાંજે હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો. હોલિકા દહન પૂર્વે શાસ્ત્રોક્ત વેદ મંત્રોના મંગલ ધ્વનિ સાથે પૂજન વિધિ કરવામાં આવી હતી. આ પૂજન સંતો અને દૈનિક યજમાનો દ્વારા કરાયું હતું. આમંત્રિત મહેમાનો અને સંતોએ પોતાની રાશિ મુજબના જુદા જુદા ધાન્ય અને શ્રીફળ દ્વારા હોલિકામાં આહુતિ આપી હતી. હોલિકા દહન બાદ અષ્ટમ મંગલ મહોત્સવ વાર્ષિકોત્સવનો આરંભ થયો હતો. ધર્મવલ્લભ સ્વામી દ્વારા પૂજન વિધિ કરીને આ મહોત્સવનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે બરોડા ગુરુકુળના વિદ્યાર્થીઓએ હોળી ગીતો અને સ્વાગત નૃત્ય રજૂ કર્યા હતા. આતિશબાજી, હોળી ગીતો અને સંતોના આશીર્વચનથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ત્યારબાદ આમંત્રિત મહેમાનો અને સંતો દ્વારા કેક કાપીને વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. હજારો દીવડાઓના પ્રકાશમાં વર્ણીપ્રભુની આરતી ઉતારવામાં આવી હતી. આરતી બાદ સ્વામિનારાયણ ભગવાનને તિલક હોળીથી રંગે રમાડવામાં આવ્યા હતા. સંતો અને હરિભક્તો ડીજેના તાલે હોળી ગીતોના સુમધુર સ્વરમાં રંગોત્સવમાં જોડાયા હતા. આકાશમાં આતિશબાજી અને રંગોના છંટકાવથી વાતાવરણ રંગીન બન્યું હતું.
સુરતના હજીરા પટ્ટામાં કાર્યરત અગ્રણી કંપનીઓ AM/NS અને LTમાં ફરજ બજાવતા હજારો કોન્ટ્રાક્ટ કામદારોના શોષણ અને તેમના પર થયેલી કથિત પોલીસ કાર્યવાહીનો મુદ્દો હવે વહીવટી તંત્ર સુધી પહોંચ્યો છે. 'શ્રમજીવી મહામંડળ સંઘ' અને 'ધી સુરત ડિસ્ટ્રિક્ટ એન્જી. એન્ડ જનરલ વર્ક્સ યુનિયન' દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને પત્ર લખી 6000 જેટલા કામદારોના હિતમાં કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ ઘટનાને લોકશાહી ઢબે થતા આંદોલન પરના પ્રહાર સમાન ગણાવીમળતી માહિતી અનુસાર, 26 ફેબ્રુઆરી 2026ના રોજ હજીરા ખાતે AM/NS કંપનીઓના પરિસરમાં કામદારો દ્વારા પોતાની પડતર માંગણીઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં કામદારો પર હિંસા થઈ હોવાના આક્ષેપો યુનિયન દ્વારા કરવામાં આવ્યા છે. યુનિયનના નેતાઓએ આ ઘટનાને લોકશાહી ઢબે થતા આંદોલન પરના પ્રહાર સમાન ગણાવી છે. 'કંપનીઓ ગેરકાયદેસર રીતે 'કોન્ટ્રાક્ટ લેબર પ્રથા' ચલાવી રહી છે'યુનિયન દ્વારા કલેક્ટરને સોંપવામાં આવેલા પત્રમાં કામદારોના શોષણના ગંભીર મુદ્દાઓ ટાંકવામા આવ્યા છે. જેમાં વર્ષોથી ફરજ બજાવતા કામદારોને કાયમી કરવાને બદલે કંપનીઓ ગેરકાયદેસર રીતે 'કોન્ટ્રાક્ટ લેબર પ્રથા' ચલાવી રહી છે. દરેક કામદારને કાયમી કર્મચારી જાહેર કરવાની માંગ કરાઈ છે. કામદારો જોખમી અને કુશળ કામગીરી કરે છે, છતાં તેમને તે મુજબનું વેતન મળતું નથી. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના ધોરણો મુજબ પગાર ચૂકવવા રજૂઆત કરવામાં આવી છે. 'વધારાના 4 કલાકનો ઓવરટાઈમ ચૂકવવામાં આવતો નથી'આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, ફેક્ટરી એક્ટ મુજબ 8 કલાકની ફરજ હોવા છતાં કામદારો પાસે 12 કલાક કામ લેવામાં આવે છે. વધારાના 4 કલાકનો કોઈ પણ પ્રકારનો ઓવરટાઈમ ચૂકવવામાં આવતો નથી, જે કાયદાનું સીધું ઉલ્લંઘન છે. કંપનીઓમાં 'મિનિમમ વેજ એક્ટ' અને 'પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ'નું પાલન થતું નથી. '6000 કામદારોને ESI અને PFના લાભોથી વંચિત રખાયા'લેબર કમિશનર દ્વારા આ બાબતે તટસ્થ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. 6000 જેટલા કામદારોને ESI અને PFના લાભોથી વંચિત રાખવામાં આવ્યા છે. કામદારોને તેમના ઇ.એસ.આઈ. કાર્ડ અને પી.એફ.ની રસીદો તાકીદે પૂરી પાડવા માંગણી કરાઈ છે. નિષ્પક્ષ ન્યાયી તપાસ યોજી તેનો અહેવાલ જાહેર કરવા માંગશ્રમજીવી મહામંડળ સંઘના પ્રમુખ નૈષધ દેસાઈએ જણાવ્યું હતું કે, કામદારોને હંમેશા ગાંધી ચીંધ્યા માર્ગે અહિંસક સત્યાગ્રહ કરવાની સલાહ આપવામાં આવે છે. જોકે, પોલીસ તંત્ર દ્વારા કામદારો પર જે સીધી હિંસક કાર્યવાહી કરવામાં આવી છે, તેની નિષ્પક્ષ ન્યાયી તપાસ યોજી તેનો અહેવાલ જાહેર કરવા વિનંતી કરવામાં આવી છે. પોલીસની કાર્યવાહી સામે અમે ઇન્ક્વાયરી કમિશનની માંગણી કરી છેશ્રમજીવી મહામંડળ સંઘના પ્રમુખ નૈષધ દેસાઈએ જણાવ્યું હતું કે, LT અને NS મિટ્તલ કંપનીમાં જે તારીખ 26ના રોજ બનાવ બન્યો અને જેમાં પોલીસ તંત્રની કાર્યવાહી થઈ, એ પોલીસની કાર્યવાહી સામે અમે ઇન્ક્વાયરી કમિશનની માંગણી કરી છે. અને જે કામદાર કાયદાઓનું અનાદર થાય છે, વાયોલેશન થાય છે, તો એ કામદાર કાયદાના વાયોલેશન માટે એની ઇન્ક્વાયરી કરીને માનનીય લેબર કમિશનર, ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને PF-ESIC કમિશનર એનો રિપોર્ટ જાહેર કરે એ અમારી અગત્યની અમે માંગણી મૂકી છે કલેક્ટર સમક્ષ બી અને અધિકારીઓ સમક્ષ પણ માગણી મૂકી છે. હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરીશુંતેને વધુમાં કહ્યું કે, એ અમારી રજૂઆત છે અને અમે ILO અને હ્યુમન રાઇટ્સ કમિશન સમક્ષ પણ આ રજૂઆત કરીને રિપ્રેઝન્ટેશન રજૂ કર્યું છે. આ બાબતમાં કોઈ સરકાર તરફથી તાકીદે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવશે તો અમે આ રજાઓ પછી ટૂંક સમયમાં અમે હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરીશું માનનીય રાજ્ય સરકાર સામે અને આ બે કંપની સામે - LT અને NS મિટ્તલ કંપની સામે. 'કંપનીના પ્રિમાઈસીસમાં બનાવ બન્યો છે. જે 10 હજાર કામદારો છે'કારણ કે આ બંને કંપની આંતરરાષ્ટ્રીય કક્ષાની બહુ સારામાં સારી વેલ-નોન કંપની છે, એમાં આવો અઘટિત બનાવ બન્યો છે અને કંપનીના પ્રિમાઈસીસમાં બનાવ બન્યો છે. અને કંપનીના જે કામદારો છે, 10 હજાર કામદારો છે એમાં, એટલે સુરત શહેરના 20 લાખ 30 લાખ જેટલા કામદારોની સલામતી, શાંતિ, ઔદ્યોગિક વિકાસ અને ઔદ્યોગિક શાંતિ અને પરસ્પર એકબીજાના સુમેળભર્યા સંબંધો જળવાઈ રહે એ માટે અમને આ કાર્યવાહી કરવાની ફરજ પડે છે. 'પોલીસની કામગીરી નિષ્પક્ષ નથી રહી'નૈષધ દેસાઈએ આગળ જણાવ્યું હતું કે, પોલીસની કામગીરી નિષ્પક્ષ નથી રહી. પોલીસની કામગીરી પર થોડીક શંકા ઉપસ્થિત થાય છે કે કદાચ કંપનીના આગ્રહથી અથવા તો કોઈ બીજા કારણથી પોલીસે એક રૂપિયાના ચોરને ફાંસીની સજા આપવાનો પ્રયાસ કર્યો છે.
યાત્રાધામ દ્વારકામાં આજે હોળી-ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે ‘ફૂલડોલ ઉત્સવ’ અત્યંત ઉત્સાહ અને ભક્તિમય માહોલમાં ઉજવવામાં આવ્યો હતો. ‘હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી’ અને ‘દ્વારકાધીશ કી જય’ના ગગનભેદી નાદ સાથે સમગ્ર નગરી કૃષ્ણમય બની હતી. જગતમંદિરમાં બિરાજતા ભગવાન દ્વારકાધીશ સાથે હોળી રમવા માટે દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આજે શામળાજીના શામળાજી મંદિરમાં અને ડાકોરના રણછોડરાય મંદિરમાં પણ હોળી પર્વની ઉજવણી કરાઈ હતી. બંને મંદિરો ખાતે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને અબીલ-ગુલાલની છોળો ઊડી હતી. ભક્તિ અને રંગોનું મહાસંગમભગવાન કૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવનું અનેરું મહત્વ છે. વસંત ઋતુના આગમન સાથે પ્રકૃતિ ખીલી ઉઠે છે, ત્યારે પરંપરા મુજબ ભગવાનને પુષ્પોથી શણગારેલા હિંડોળામાં ઝુલાવવામાં આવે છે. ધૂળેટીના દિવસે ભગવાનને વિશેષ શણગાર કરી ભક્તો પર અબિલ-ગુલાલ અને કેસૂડાના રંગોની વર્ષા કરવામાં આવી હતી.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આગામી 6 માર્ચ, 2026ના રોજ યોજાનારી ચૂંટણીને લઈને મહેસાણા કોર્ટ સંકુલમાં અત્યારથી જ ભારે ઉત્સાહ અને ગરમાવો જોવા મળી રહ્યો છે. આ ચૂંટણીમાં મહેસાણાથી પૂર્વ ચેરમેન અને વર્તમાન સભ્ય કિશોર આર. ત્રિવેદીએ પોતાની ઉમેદવારી નોંધાવતા સ્થાનિક વકીલ મંડળમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આજે મહેસાણાના વકીલો મોટી સંખ્યામાં કિશોર ત્રિવેદીના સમર્થનમાં ઉતરી આવ્યા હતા. કિશોર ત્રિવેદીને બહુમતીથી વિજયી બનાવવા અપીલમહેસાણા વકીલ મંડળ દ્વારા કિશોર ત્રિવેદીના સમર્થનમાં કોર્ટ સંકુલમાં જોરશોરથી પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વકીલ મિત્રો દ્વારા તમામ મતદાર સભ્યોને અપીલ કરવામાં આવી છે કે, કિશોર ત્રિવેદીને પ્રથમ ક્રમની પસંદગીનો મત આપી પ્રચંડ બહુમતીથી વિજયી બનાવે. કિશોર ત્રિવેદી ચેરમેન તરીકે સેવા આપી ચૂક્યા છેઃ આર.એન. બારોટઆ અંગે વિગતો આપતા મહેસાણાના વકીલ આર.એન. બારોટે જણાવ્યું હતું કે, આગામી 6 માર્ચના રોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી યોજાનાર છે, જેમાં અનુભવી નેતા કિશોર આર. ત્રિવેદીએ ઉમેદવારી કરી છે. તેઓ અગાઉ ચેરમેન તરીકે સેવા આપી ચૂક્યા છે અને હાલમાં પણ સભ્ય છે. અમે તમામ વકીલો તેમના પ્રચાર માટે એકઠા થયા છીએ. કિશોર ત્રિવેદીનો સિરિયલ નંબર 89 છે, જેની સામે પ્રથમ પસંદગીનો ક્રમ (નંબર 1) આપી તેમને વિજેતા બનાવવા માટે અમે સૌ વકીલોને વિનંતી કરી રહ્યા છીએ. કિશોર ત્રિવેદીની જીતના તમામને આશાસમગ્ર મહેસાણા કોર્ટ સંકુલમાં હાલ આ ચૂંટણીલક્ષી માહોલ જામ્યો છે અને કિશોર ત્રિવેદીના વર્ષોના અનુભવને જોતા વકીલોમાં તેમને ફરીથી કાઉન્સિલમાં મોકલવા માટે ભારે આશાવાદ જોવા મળી રહ્યો છે.
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના બોરાળા ગામે એક કૂવામાં મગર ફસાઈ ગયો હતો. વનવિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત રીતે નદીકાંઠે મુક્ત કર્યો હતો. આ ઘટના ધીરુભાઈ વાઘાણીની વાડીમાં આવેલા ખાલી કૂવામાં બની હતી. ખાંભા રેન્જ વન વિભાગની ટીમને જાણ થતાં જ તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને વિસ્તારને કોર્ડન કરીને રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. વન વિભાગના RFOના સીધા સુપરવિઝન હેઠળ સ્ટાફે જરૂરી સાવચેતી સાથે મગરને કૂવામાંથી બહાર કાઢ્યો હતો. મગરનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેમાં તે સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જણાયું હતું. તાજેતરમાં ખાંભા અને ધારી ગીર જંગલ નજીક હોવાથી રેવન્યુ વિસ્તારોમાં મગરોની અવરજવર વધી રહી છે. આથી વન વિભાગ દ્વારા ગ્રામજનોને સતર્ક રહેવા અને મગર દેખાય તો તાત્કાલિક જાણ કરવા સૂચના આપવામાં આવી છે.
ધૂળેટી પર ત્વચા-વાળની સંભાળ જરૂરી:કેમિકલ રંગોથી બચવા નિષ્ણાત તબીબની સલાહ
રંગોના પર્વ ધૂળેટીની દેશભરમાં ઉજવણી કરવામાં આવે છે. જોકે, બજારમાં મળતા રાસાયણિક રંગો ત્વચા અને વાળને નુકસાન પહોંચાડી શકે છે. આથી, ધૂળેટી રમતા પહેલા અને પછી યોગ્ય કાળજી લેવી જરૂરી છે. ભરૂચની ડો. કીરણ.સી.પટેલ મેડિકલ કોલેજ ઍન્ડ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટના આસિસ્ટન્ટ પ્રોફેસર અને ત્વચા નિષ્ણાત ડૉ. અભિષેક પારેખે આ અંગે કેટલીક મહત્વપૂર્ણ સલાહ આપી છે. ડૉ. પારેખના જણાવ્યા અનુસાર, ધૂળેટી રમતા પહેલા ચહેરા, હાથ-પગ અને વાળ પર નાળિયેર તેલ અથવા મોઈશ્ચરાઇઝર લગાવવું જોઈએ. આનાથી ત્વચા પર એક રક્ષણાત્મક સ્તર બને છે, જે રંગોને સીધા ત્વચામાં શોષાતા અટકાવે છે. શક્ય હોય ત્યાં સુધી પૂરા કપડાં પહેરવા અને આંખોના રક્ષણ માટે ચશ્માનો ઉપયોગ કરવો હિતાવહ છે. તેમણે ખાસ કરીને કેમિકલયુક્ત, ગાઢ અને ચમકદાર રંગોથી દૂર રહેવાની સલાહ આપી છે. બાળકોની ત્વચા નાજુક હોવાથી તેમના માટે વિશેષ કાળજી રાખવી જોઈએ, જેથી તેમને કોઈ નુકસાન ન થાય. ધૂળેટી રમ્યા પછી ગરમ પાણીના બદલે સાદા પાણીથી સ્નાન કરવું જોઈએ. ચહેરા પર વધુ ઘસારો ટાળવો, કારણ કે તેનાથી ત્વચાને નુકસાન થઈ શકે છે. સ્નાન કર્યા બાદ મોઈશ્ચરાઇઝર લગાવવાથી ત્વચાની નમી જાળવી શકાય છે. નિષ્ણાત તબીબે જણાવ્યું કે, જો થોડી તકેદારી રાખવામાં આવે તો ધૂળેટીના પર્વનો આનંદ સુરક્ષિત રીતે માણી શકાય છે અને ત્વચા તથા વાળને થતા નુકસાનથી બચી શકાય છે.
આણંદ જિલ્લા પંચાયતનું વર્ષ 2026-27નું ₹1714.06 કરોડનું અંદાજપત્ર પ્રમુખ હસમુખભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી ખાસ સાધારણ સભામાં રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં ખેડૂતો, મહિલાઓ અને બાળકોના કલ્યાણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. કુલ ₹1714.06 કરોડની આવક અને ₹૧૨૬૦.૯૩ કરોડના ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો છે, જેમાં વર્ષના અંતે ₹135.32 લાખની પુરાંત રહેવાની શક્યતા છે. આ રજૂઆત દરમિયાન કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલ અને સાંસદ મિતેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બજેટમાં લેવાયેલા મહત્વના નિર્ણયો અનુસાર, ખેડૂતના અકસ્માત મૃત્યુના કિસ્સામાં રાજ્ય સરકારની ₹૪ લાખની સહાય ઉપરાંત જિલ્લા પંચાયત પોતાના સ્વભંડોળમાંથી વધારાની ₹35,000ની સહાય આપશે. આ ઉપરાંત, પ્રસૂતિ દરમિયાન માતાના મૃત્યુના કિસ્સામાં વારસદારને ₹50,000ની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવા માટે તાલુકા દીઠ શ્રેષ્ઠ કામગીરી કરતી ત્રણ ગ્રામ પંચાયતોને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાશે. શિક્ષણ અને બાંધકામ ક્ષેત્રે પણ મોટી ફાળવણી કરવામાં આવી છે, જેમાં આંગણવાડીઓના રિપેરિંગ, સ્માર્ટ આંગણવાડી બનાવવા અને પશુ સારવાર કેમ્પ માટે વિશેષ ગ્રાન્ટનો સમાવેશ થાય છે. જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓ અને મુલાકાતીઓના બાળકોની સંભાળ માટે ₹10 લાખના ખર્ચે તૈયાર કરાયેલા આધુનિક 'ઘોડિયાઘર'નું મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઘોડિયાઘરના નિભાવ માટે બજેટમાં વધુ ₹10 લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ સભામાં જિલ્લાની શાળાઓ અને આરોગ્ય કેન્દ્રોમાં સહયોગ આપનાર દાતાઓ અને CSR કંપનીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયતની વર્તમાન મુદત 17 માર્ચના રોજ પૂર્ણ થતી હોવાથી પ્રમુખે તમામ સદસ્યો અને અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
મોડાસામાં GPYG દ્વારા વૈદિક હોળીની ઉજવણી:યજમાન દંપતીઓએ વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ લીધો
મોડાસા શહેરમાં ગાયત્રી પરિવાર યુવા ગ્રુપ (GPYG) દ્વારા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે વૈદિક પરંપરા મુજબ હોળીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વૈદિક મંત્રોચ્ચાર સાથે જડીબુટ્ટીયુક્ત વિશેષ હવન સામગ્રી દ્વારા હોળી પૂજન અને યજ્ઞ સંપન્ન થયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વાતાવરણ શુદ્ધિકરણ અને સકારાત્મક ઊર્જાનો પ્રસાર કરવાનો હતો, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન યુગ ઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી દ્વારા પ્રેરિત 18 સત્સંકલ્પો અંગે માર્ગદર્શન અપાયું હતું. ઉપસ્થિત લોકોને આ સંકલ્પોના પેમ્ફલેટ વિતરણ કરાયા હતા અને તેમને દૈનિક જીવનમાં અમલમાં મૂકવા અનુરોધ કરાયો હતો. આ પહેલનો હેતુ સમાજમાં નૈતિક મૂલ્યો, સેવા ભાવના અને પર્યાવરણ પ્રત્યે જવાબદારીનો વિકાસ કરવાનો છે. આ પ્રસંગની વિશેષતા રૂપે 14 દંપતીઓ યજમાન તરીકે હોળી પૂજનમાં બેઠા હતા. દરેક દંપતીને એક છોડ ભેટ આપવામાં આવ્યો હતો અને તેને સંતાન સમાન ઉછેરવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. દંપતીઓએ ઉત્સાહપૂર્વક આ સંકલ્પ સ્વીકારી પ્રકૃતિ સંરક્ષણમાં પોતાનો હિસ્સો આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આગામી ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને તમામ દંપતીઓને પક્ષીઓ માટે ચકલી ઘર પણ આપવામાં આવ્યા હતા. આ પહેલ અબોલ પક્ષીઓ માટે આશ્રયની વ્યવસ્થા કરી માનવ અને પ્રકૃતિ વચ્ચેના સહઅસ્તિત્વનો સંદેશ આપે છે. સમગ્ર કાર્યક્રમ દ્વારા પર્યાવરણ સંરક્ષણ, સાંસ્કૃતિક મૂલ્યોનું સંવર્ધન અને સામાજિક જવાબદારીનો સશક્ત સંદેશ પ્રસર્યો હતો. શહેરજનો દ્વારા GPYGની આ અનોખી વૈદિક હોળીની પહેલને વ્યાપક પ્રશંસા મળી હતી અને ભવિષ્યમાં પણ આવા પર્યાવરણમિત્ર કાર્યક્રમો યોજાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
રંગોના પર્વ ધુળેટીના દિવસે ઇમરજન્સીને પહોંચી વળવા માટે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ સજ્જ છે. તહેવારના દિવસે વિવિધ વિભાગના 100થી વધુ ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ ખડેપગે રહેશે. જરૂર પડશે તો વધુ સ્ટાફને પણ તૈનાત કરવામાં આવશે. 'સામાન્ય રીતે ડૂબી જવાના અને અકસ્માતોના કેસ વધુ આવે છે'SSG હોસ્પિટલના RMO ડૉ. એચ. એસ. ચૌહાણે જણાવ્યું હતું કે, તહેવારોમાં હોસ્પીટલનો સ્ટાફ હંમેશા તૈયાર જ હોય છે. ગમે તેવી ઇમરજન્સી સામે પહોંચી વળવા માટે સ્ટાફ સજ્જ છે. ધુળેટીના દિવસે સામાન્ય રીતે અકસ્માતોના અને ડૂબી જવાના કેસો વધુ આવતા હોય છે. જેની સામે તમામ ડોક્ટર, નર્સિંગ સ્ટાફ સજ્જ છે. કોઈ મોટી ઘટના બને તો પણ પૂરતા સ્ટાફ સાથે હોસ્પિટલ સજ્જ છે. 'રંગોથી સ્કિન એલર્જીના કેસ પણ વધુ આવે છે'ડો. ચૌહાણે જણાવ્યું હતું કે, ધૂળેટી પર્વના દિવસે રંગોના કારણે ચામડીને લગતા કેસો વધુ આવે છે. ખતરનાક રંગોના ઉપયોગના કારણે એલર્જી અથવા તો ચામડી બળી જવાના કિસ્સાઓ બને છે. આ ઉપરાંત આંખમાં રંગ જવાથી આંખને નુકસાન થયું હોય તેવા પણ કેસ આવે છે. જેની સારવાર માટે અમે તૈયાર છે. સલામત રીતે પર્વની ઉજવણી કરવા અપીલડો. ચૌહાણે લોકોને રંગોના પર્વની સલામત રીતે ઉજવણી કરવા અપીલ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ઓર્ગેનિક રંગો અથવા તો પાણીથી ધૂળેટી રમવી જોઈએ. સામે વાળા વ્યક્તિને નુકસાન ન થાય તે રીતે પર્વની ઉજવણી કરવા માટે તેઓએ અપીલ કરી હતી.
ગુજરાત યુનિવર્સિટીમાં ખાલી પડેલી જગ્યા પર શરૂ કરવામાં આવેલી ભરતી પ્રક્રિયાને લઈને વિવાદ સર્જાયો છે. વિવિધ પોસ્ટની ફાઇનલ યાદીમાં એક બે નામોની જ પસંદગીથી વિવાદ થયો છે. NSUI દ્વારા સીધી ભરતીમાં મળતિયાઓને ગોઠવવા ખેલ થયાના આક્ષેપ કરવામાં આવ્યા છે. VCના PA માટે આવેલી 33 અરજીમાંથી બે જ માન્ય રખાઈ છે. જ્યારે રજિસ્ટ્રારના PA માટે આવેલી 33 અરજીમાંથી માત્ર એક જ અરજી માન્ય રખાઈ છે. યુનિવર્સિટી એન્જિનિયર માટે આવેલી 7માંથી માત્ર એક અરજીને જ લાયક ગણવામાં આવી છે. ફિઝિકલ એજ્યુકેશન ડાયરેક્ટર માટે આવેલી 12 અરજીમાંથી માત્ર એક જ અરજી માન્ય રખાઈ છે. કુલપતિએ દાવો કર્યો છે કે ભરતી પ્રક્રિયામાં કોઈપણ ગોઠવણ કરવામાં આવી નથી. ‘ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયામાં લાગવગ અને ગોઠવણ એ જ લાયકાત’ગુજરાત યુનિવર્સિટીમાં ખાલી પડેલી જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રજિસ્ટ્રારથી લઈને 36 પ્રકારના વિવિધ પદો માટે 130 જગ્યાઓ માટે ચાલી રહેલી ભરતીમાં લાગવગ અને ગોઠવણ થઈ હોવાનો NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયામાં લાગવગ અને ગોઠવણ એ જ લાયકાત છે. મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા સુનિશ્ચિત કરે તેવી NSUI દ્વારા માગ કરવામાં આવી છે. જો પારદર્શિતા સુનિશ્ચિત કરવામા નહીં આવે તો કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ‘મળતિયાઓને સેટ કરવા અન્ય ઉમેદવારોને ગેરલાયક ઠેરવી ગોઠવણ કરી’NSUIનો આક્ષેપ છે કે, ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયામાં મોટાપાયે ગોલમાલ, ગેરરીતિ અને લાયકાતના ધોરણે માત્ર લાગવગથી ભરતી કરવામાં આવી રહી છે. જે લોકોને ગેરલાયક ઠેરવ્યા છે તેમને કોઈપણ પ્રકારના કારણ આપવામાં આવ્યા ન હોવાનો NSUIએ દાવો કર્યો છે. મળતિયાઓને સેટ કરવા માટે અન્ય ઉમેદવારોને ગેરલાયક ઠેરવી ગોઠવણ કરવામાં આવતા ભરતી પ્રક્રિયા સામે સવાલ ઊભા થયા છે. ચોક્કસ ઉમેદવારોને ધ્યાનમાં રાખીને નિયમ બનાવાયા: ભાવિક સોલંકીઆ અંગે NSUIના પૂર્વ રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડિસેમ્બર 2025માં 36 જેટલા ડિપાર્ટમેન્ટના વિવિધ વિભાગમાં 130થી વધુ પદો માટેની ભરતી જાહેર કરવામાં આવી હતી. કોઈ ચોક્કસ ઉમેદવારોને ધ્યાનમાં રાખીને નિયમ બનાવવામાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. જે ઉમેદવારોને પરીક્ષા માટે માન્ય ગણવામાં આવ્યા છે તે ઉમેદવારો માટે જ ભરતી કરવામાં આવી રહી હોવાનું લાગી રહ્યું છે. રજિસ્ટ્રારના PA માટે જે અરજી આવી હતી તેમાંથી માત્ર એક અરજી માન્ય ગણવામાં આવી છે. અન્ય ઉમેદવારો કેમ ગેરલાયક ગણવામાં આવ્યા છે તેની માહિતી પણ આપવામાં આવી નથી. ‘ચોક્કસ ઉમેદવારોને ભરતી પ્રક્રિયામાં પસંદ કરવામાં આવી રહ્યા છે’વધુમાં ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, VCના PA માટે 33 અરજી આવી હતી. જેમાંથી બે જ ઉમેદવારોને માન્ય ગણવામાં આવ્યા છે. અન્ય ઉમેદવારો કેમ ગેરલાયક છે તેનો કોઈપણ જવાન ઉમેદવારોને આપવામાં આવ્યો નથી. ફિઝિકલ એજ્યુકેશન ડાયરેક્ટરની જગ્યા પર એક જ ઉમેદવારને માન્ય ગણવામાં આવ્યો છે. ચોક્કસ ઉમેદવારોને ભરતી પ્રક્રિયામાં પસંદ કરવામાં આવી રહ્યા છે. સામાન્ય અને મધ્યમ વર્ગના યુવાનો તૈયારી કરીને ફોર્મ ભરે છે તેમના સાથે અન્યાય થઈ રહ્યો છે. જેથી અમારી માગ છે કે જે યુવાનો મહેનત કરી રહ્યા છે તેમને ન્યાય આપવામાં આવે અને આ ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવે. કુલપતિના આદેશ અનુસાર ભરતી પ્રક્રિયામાં ગોઠવણ થઈ રહી છે. સમર્થ પોર્ટલ પરથી તમામ અરજી મંગાવવામાં આવી હતી: કુલપતિઆ અંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, સમર્થ પોર્ટલ પરથી તમામ અરજી મંગાવવામાં આવી હતી. સ્ક્રૂટિની ટીમ દ્વારા RR પ્રમાણે તપાસ કરવામાં આવી હતી. કોઈપણ ઉમેદવાર ગેરલાયક ગણાય છે તો તેમની પાસેથી મેઇલ અને મેસેજ કરીને તેમના ખૂટતા ડોક્યુમેન્ટ મંગાવવામાં આવ્યા હતા. જે બાદ તેમના ડોક્યુમેન્ટ સ્વીકારી લાયક અને ગેરલાયક ગણવામાં આવ્યા હતા. કોઈ વિદ્યાર્થી હાર્ડ કોપી ડિપાર્ટમેન્ટમાં આવીને આપી ગયા તો તે પણ અમે સ્વીકારી હતી. જેના આધારે લાયક ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે. ‘RR પ્રમાણે માંગ્યા બાદ પણ સર્ટિફિકેટ આપવામાં ન આવતા ગેરલાયક ગણ્યા’વધુમાં નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, સમર્થ પોર્ટલમાં દરેક ઉમેદવારની આખી પ્રક્રિયા પબ્લિક થતી નથી, જેથી આક્ષેપ કરવામાં આવ્યા છે. તેમજ અત્યાર સુધી ગેરલાયક ગણવામાં આવેલા એક પણ ઉમેદવારે ફરિયાદ કરી નથી. જે પણ અરજી આવી હતી તે તમામ અરજીની સ્ક્રૂટિની કરીને લાયક ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. લાયક ઉમેદવારોને બે વખત લેખિત પરીક્ષા આપવી પડશે જેથી સીધી ભરતી થઈ રહી હોવાનો આક્ષેપ પાયાવિહોણો છે. એક લાયક ઉમેદવાર હશે તો પણ તેની પરીક્ષા યોગ્ય રીતે જ લેવામાં આવશે. જે લોકો ગેરલાયક થયા છે તેમના કારણ તેમના સોફ્ટવેરમાં દર્શાવવામાં આવ્યા છે. ગ્રેડ પે અનિવાર્ય છે અને તે ના હોય તો ગેરલાયક ગણવામાં આવે છે. RR પ્રમાણે માંગ્યા બાદ પણ સર્ટિફિકેટ આપવામાં ન આવતા ગેરલાયક ગણવામાં આવ્યા છે. એક ઉમેદવાર હશે તો પણ તે લેખિત પરીક્ષા પાસ કરશે તો જ તેની પસંદગી કરવામાં આવશે.
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ભંડારા ગામે હોળી ધૂળેટી નિમિતે રંગોત્સવ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી અને સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય ડો. કુબેરભાઈ ડિંડોર પોતાના માદરે વતન ભંડારા ગામે આ ઉજવણીમાં જોડાયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડિંડોરે ગ્રામજનો સાથે રંગબેરંગી ગુલાલ ઉડાવી રંગોત્સવ રમવાનો આનંદ માણ્યો હતો. તેમણે સૌને ધૂળેટી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. ગ્રામજનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પર્વ દરમિયાન ગામના યુવાનો દ્વારા ઢોલ-નગારા સાથે નૃત્ય કરવામાં આવ્યું હતું. પરંપરાગત લોકગીતો ગાઈને પણ ઉજવણી કરવામાં આવી હતી, જેણે વાતાવરણને ઉત્સાહપૂર્ણ બનાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આવા તહેવારો સમાજમાં ભાઈચારો અને એકતાની ભાવના મજબૂત બનાવે છે. તેમણે સૌને સુરક્ષિત અને સ્વચ્છ રીતે તહેવાર ઉજવવાની પણ અપીલ કરી હતી. ડો. કુબેરભાઈ ડિંડોર તેમની આગવી શૈલી માટે જાણીતા છે અને તેઓ દર વર્ષે પોતાના વિધાનસભા વિસ્તારમાં ગ્રામજનો સાથે તહેવારોની ઉજવણી કરે છે. આ વર્ષે પણ તેમણે પરંપરાગત આદિવાસી સંસ્કૃતિ મુજબ દેશી ઢોલ વગાડીને આનંદપૂર્વક ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
વડોદરાના વાડીમાં હોલિકા દહન:યુવા સહકાર સાધના યુવક મંડળે ધાર્મિક શ્રદ્ધાથી આયોજન કર્યું
વડોદરા શહેરના વાડી વિસ્તારમાં યુવા સહકાર સાધના યુવક મંડળ દ્વારા હોળીકા દહનનો પવિત્ર તહેવાર ધાર્મિક શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો. પીપળાના ઝાડ પાસે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા. આ પાવન અવસર પર વાડી વિસ્તારના વડીલો, માતાઓ-બહેનો, યુવાનો અને બાળકો સહિત મોટી સંખ્યામાં લોકોએ સમૂહ હોળીકા દહન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આયોજકો દ્વારા ધાર્મિક પરંપરાઓ અનુસાર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વિધિવત પૂજન-અર્ચન બાદ હોળીકા દહન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ બન્યું હતું, જેણે ઉપસ્થિત સૌમાં ધાર્મિક ભાવના જગાવી હતી.મંડળના પ્રમુખ નયનભાઈ સોનીએ જણાવ્યું હતું કે, “હોળીકા દહન હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર છે. તે અસત્ય પર સત્યની, અંધકાર પર પ્રકાશની અને ખરાબ વિચારો પર સારા વિચારોની જીતનું પ્રતીક છે. આ તહેવાર સમાજમાં ધાર્મિક શ્રદ્ધા, સામાજિક એકતા અને સાંસ્કૃતિક પરંપરાઓને જાળવવાનો સંદેશ આપે છે.”આયોજકોએ આ પ્રસંગે સમાજમાં ભાઈચારો, પ્રેમ, એકતા અને સુખ-સમૃદ્ધિ ફેલાય તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
ભાવનગર શહેર જિલ્લામાં આજના ચંદ્ર ગ્રહણને પગલે મંદિરોના શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યો છે, પ્રસિદ્ધ મંદિરો ઉપરાંત નાના-મોટા ધાર્મિક સ્થળો અને આશ્રમો ચંદ્રગ્રહણને પગલે દર્શન પૂજન અર્ચન માટે બંધ કરવામાં આવ્યા છે, પ્રાતઃકાળની મંગળા આરતી બાદ મંદિરો ને બંધ કરવામાં આવ્યા છે, શાસ્ત્ર આજ્ઞા અનુસાર જ્યારે જ્યારે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થતું હોય છે ત્યારે લોકોએ સંયમ-નિયમ અનિવાર્યપણે પાળવાના હોય છે એ જ રીતે આધ્યાત્મિક જગતમાં પણ ગ્રહણ સમયે મંદિરો બંધ રાખવામાં આવે છે મંદિરોમાં ભગવાનના દર્શન પૂજન અર્ચન સાથે ભોજન-પ્રસાદ વિતરણ પણ બંધ કરવામાં આવતું હોય છે આજરોજ વર્ષ 2026 નું પ્રથમ ચંદ્રગ્રહણ શરૂ થયું છે ત્યારે દેશના કેટલાક પ્રાંત સહિત રાજ્યના જૂજ વિસ્તારોમાં આ ચંદ્રગ્રહણ દેખાવાનું હોય જેને પગલે ચંદ્ર ગ્રહણ પાળવું અનિવાર્ય છે ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં આવેલા ખ્યાતનામ મંદિરો આશ્રમો સહિતના ધાર્મિક સ્થળો ના વહીવટી તંત્ર દ્વારા આ ચંદ્રગ્રહણ સંપૂર્ણપણે પાડવામાં આવ્યું છે, ભાવનગર શહેરમાં આવેલ તખ્તેશ્વર મહાદેવ મંદિર, જશોનાથ મહાદેવ મંદિર તથા ભીડભંજન મહાદેવ મંદિર થી લઈને અન્ય નાના-મોટા તમામ મંદિરો માં ચંદ્રગ્રહણ પાળવામાં આવ્યું છે વહેલી સવારે મંગળા આરતી થયા બાદ દર્શનાર્થીઓ માટે મંદિર બંધ કરવામાં આવ્યા છે, સવારેથી સાંજ સુધી તમામ મંદિરો બંધ રાખવામાં આવશે, મંદિરની દિનચર્યામાં ફેરફાર કરવામાં આવ્યો છે સાંજે ગ્રહણ સમાપ્ત થયા બાદ વેદોક્ત કર્મ બાદ નિજ મંદિરો ભગવાનના દર્શન માટે પુનઃ ખુલ્લા મુકવામાં આવશે, એવી જ રીતે લોકોએ પણ આ ચંદ્રગ્રહણને પાળ્યું હતું ગ્રહણ સમયે એક જ સ્થળ રહીને ભોજન પાણીનો ત્યાગ કરી મોટા પ્રમાણમાં ભગવાન નામ જાપ કરશે, મંદિરોમાં પણ ખાસ પૂજા અર્ચના દ્વારા મંદિરના ગર્ભગૃહ અને ભગવાનની મૂર્તિઓનું શુદ્ધિકરણ કરવામાં આવશે.
જૂનાગઢમાં એક યુવકના રહસ્યમય મોત થયું છે, જેમાં મૃતકના શરીર પર અને ખાસ કરીને સાથળ અને ગુદાના ભાગે ગંભીર ઈજાના નિશાન મળી આવતા પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને લઈને મૃતકની બહેને આક્ષેપ કર્યો છે કે, તેના ભાઈનું મોત કોઈ અકસ્માતથી થયું નથી, પરંતુ તેની હત્યા કરવામાં આવી છે. શરીર પરના નિશાન જોતા પોલીસે આ સમગ્ર મામલે શંકાસ્પદની પૂછપરછ શરૂ કરી છે. મિત્ર સાથે નીકળ્યો ને અકસ્માત થયેલી હાલતમાં મળી આવ્યોજૂનાગઢ તાલુકાના જામકા ગામે રહેતા 19 વર્ષીય રાશીશ ઉર્ફે ભયું હરસુખભાઈ સોલંકીના શંકાસ્પદ મોતને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. બે દિવસ પહેલા રાશીશ મજૂરી કામ માટે બોટાદ જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. તેણે બોટાદ જવા માટે વિસાવદરથી બસની ટિકિટ પણ બુક કરાવી હતી, જેના કારણે તે વિસાવદર તેના મિત્રના ઘરે રોકાયો હતો. ત્યાંથી તેણે બોટાદ જવાનું હતું, પરંતુ તેનો મિત્ર ઇકો ગાડી લઈને રાજકોટ જવાનો હોવાથી રાશીશે તેની સાથે જૂનાગઢ સુધી આવવાનું નક્કી કર્યું હતું. રાશીશે મિત્રને જણાવ્યું હતું કે, 'હું જૂનાગઢ ઉતરી જઈશ અને તું રાજકોટ જતો રહેજે.' જોકે, ત્યારબાદ રાશીશ અકસ્માત થયેલી હાલતમાં મળી આવતા અનેક સવાલો ઉભા થયા છે. રાજકોટમાં સારવાર દરમિયાન દમ તોડ્યોગંભીર રીતે ઘવાયેલી હાલતમાં મળી આવેલા રાશીશને તાત્કાલિક સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેની હાલત અત્યંત નાજુક જણાતા ફરજ પરના તબીબોએ તેને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવાની સલાહ આપી હતી. પરિવાર તેને રાજકોટ લઈ ગયો હતો, પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ અંતે 19 વર્ષીય રાશીશ સોલંકીનું કરુણ મોત નીપજ્યું હતું. પરિવારે એકનો એક દિકરો ગુમાવતાં આભ તૂટી પડ્યું. શરીર પર ગંભીર ઈજાના નિશાન, પરિવારને હત્યાની આશંકામૃતક રાશીશના શરીર પર જોવા મળેલા ઈજાના નિશાનોએ આ કેસમાં નવો વળાંક આપ્યો છે. પરિવારના જણાવ્યા અનુસાર, રાશીશના સાથળના ભાગે ગંભીર ઈજા હતી, જેના કારણે ત્યાં ટાંકા લેવા પડ્યા હતા. આ ઉપરાંત, ગુદાના ભાગેથી પણ લોહી નીકળ્યાના નિશાન જોવા મળ્યા છે. આ પ્રકારની ઈજાઓ સામાન્ય અકસ્માતમાં થવી અશક્ય હોવાનું પરિવાર માની રહ્યો છે. 'મારા ભાઈનું અકસ્માતથી મૃત્યુ થયું જ નથી, તેની હત્યા કરાઈ'દિવ્યભાસ્કરે મૃતકની બહેન સાથે ટેલિફોનિક વાત કરતાં જણાવ્યું હતું કે, મારા ભાઈનું અકસ્માતથી મૃત્યુ થયું જ નથી, તેની હત્યા કરવામાં આવી છે. તેણે બોટાદ જવાનું કહી ટિકિટ બુક કરાવી હતી, છતાં તે વિસાવદરથી અચાનક જૂનાગઢ કેવી રીતે પહોંચ્યો તે મોટો પ્રશ્ન છે. પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરે તેવી અમારી માંગ છે. પોલીસ તપાસ અને પીએમ રિપોર્ટ પર નજરઆ શંકાસ્પદ મોતના મામલે જૂનાગઢ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પોલીસ અત્યારે એ દિશામાં તપાસ કરી રહી છે કે વિસાવદરથી જૂનાગઢ આવતી વખતે રાશીશની સાથે કોણ હતું? જૂનાગઢ ઉતર્યા બાદ તે કોને મળ્યો હતો ? યુવક કડિયાવાળમાં ઘાયલ થયો હતો- પોલીસ હાલમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ વાસ્તવિકતા સામે આવશે કે આ મોત અકસ્માત છે કે હત્યા. પોલીસે શકમંદોની પૂછપરછ હાથ ધરતાં જાણવા મળ્યું કે, મૃતક યુવક છેલ્લે જૂનાગઢના કડિયા વાળમાં ઘાયલ થયો હતો. ત્યાંથી તેને અન્ય યુવકો દ્વારા જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.હાલમાં પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો જૂનાગઢમાં પ્રેમ પ્રકરણમાં દરગાહના પરિસરમાં યુવકની હત્યા 3 ફેબ્રુઆરીએ જૂનાગઢના વંથલી શહેરમાં મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ભયાનક ઘટના સામે આવી છે. શહેરની જાણીતી ભલાયશા દરગાહના પરિસરમાં 30 વર્ષીય તાજીમ સોઢા નામના યુવકની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. આ હુમલામાં વચ્ચે પડેલા અન્ય એક યુવકને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર હેઠળ ખસેડાયો છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં રોષ અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ સમગ્ર મામલે મૃતકના પિતાએ ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે. (વાંચો સંપૂર્ણ સમાચાર) જૂનાગઢમાં પાણી પીવા બોલાવી રેપના પ્રયાસ બાદ હત્યા જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ખમીદાણા ગામના છેવાડે આવેલા એક અવાવરૂ કૂવામાંથી માનવકંકાલ અને કીમતી દાગીના મળતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે કૂવામાંથી કચરાની ભરેલી થેલીમાંથી હાડપિંજરનાં ટુક્ડા બહાર કાઢ્યાં હતા. ત્યારે સાત મહિના પહેલા રહસ્યમય રીતે ગુમ થયેલા 65 વર્ષીય સુમરીબેન ઉર્ફે મણીબેન બારૈયાના કેસમાં મોટો ખુલાસો થયો છે. ખમીદાણ ગામનો પુજારી મહેશ વ્યાસ નામના આરોપીએ લૂંટના ઈરાદે વૃદ્ધની કરપીણ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં આરોપીએ વૃદ્ધા પર દુષ્કર્મનો પ્રયાસ પણ કર્યો હતો. જૂનાગઢ આર.આર. સેલની ટીમે સતત મહેનત બાદ આ વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. (વાંચો સંપૂર્ણ સમાચાર) જૂનાગઢમાં અનુ. જાતિના યુવકનું શંકાસ્પદ મોત 27 નવેમ્બર 2025ના જૂનાગઢ શહેરના બીલખા રોડ પર આવેલી સી.એલ. કોલેજ નજીક ગત મોડી રાત્રે એક ચોંકાવનારી અને શંકાસ્પદ ઘટના બની છે. આંબેડકરનગરમાં રહેતા અને મજૂરી કામ કરતા 34 વર્ષીય જયદીપ સોસા નામના યુવકનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું છે. મોડી રાત્રે યુવકના ભાઈને કોઈક અજાણ્યા શખસનો ફોન આવ્યો હતો કે જયદીપ અહીં પડ્યો છે. યુવક જ્યારે બેભાન જેવી હાલતમાં મળ્યો, ત્યારે તેના અંતિમ શબ્દો હતા કે, ભાઈ મને છાતીમાં લાગી ગયું છે, બહુ દુખાવો થાય છે. મૃતકના ભાઈએ આ મામલે યોગ્ય પોલીસ તપાસ થાય તેવી માગણી કરી છે, જેના પગલે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવક જયદીપના મૃતદેહને પેનલ પીએમમાં મોકલવામાં આવ્યો છે. (વાંચો સંપૂર્ણ સમાચાર)
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના સીમળગામમાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના એક મકાનમાંથી 46 વર્ષીય પ્રોઢનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મકાનમાંથી અસહ્ય દુર્ગંધ આવતા ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી. મરોલી પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જલાલપોર તાલુકાના સીમળગામના નવા હળપતિવાસમાં રહેતા મનુભાઈ હળપતિ (ઉ.વ. 46) ગત તા. 02/03/2026 ના રોજ બપોરે કાળીદાસ રાઠોડના પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે આસપાસના રહીશોને મકાનમાંથી તીવ્ર દુર્ગંધ આવવા લાગી. ગ્રામજનોએ તાત્કાલિક સ્થાનિક રહીશ કેતનભાઈ હરિભાઈ પટેલને આ બાબતે જાણ કરી હતી. કેતનભાઈએ તુરંત મરોલી પોલીસ સ્ટેશનમાં મૌખિક જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ મરોલી પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર કે.આર. ચાવડા અને તેમની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે તપાસ કરતા મનુભાઈ હળપતિનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 194 મુજબ અકસ્માત મોત (એ.ડી. નંબર 13/2026) દાખલ કર્યો છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવી, જલાલપોરના કાર્યપાલક મેજિસ્ટ્રેટને ઇન્ક્વેસ્ટ પંચનામા માટે જાણ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ મોતનું કારણ અગમ્ય જણાઈ રહ્યું છે, જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ જાણી શકાશે. હાલમાં મરોલી પીએસઆઈ કે.આર. ચાવડા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
જલુંધમાં મુસ્લિમ ભાઈઓએ હોળી તૈયાર કરી:સરપંચ સહિત ગ્રામજનોએ પૂજન કરી હોલિકા દહનનો લાભ લીધો
જલુંધ ગામમાં ૨ માર્ચ, ૨૦૨૬ના રોજ હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હોળીની વિશેષતા એ છે કે છેલ્લા પાંચ વર્ષથી ગામમાં મુસ્લિમ ભાઈઓ દ્વારા હોળી તૈયાર કરવામાં આવે છે, જે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. ઉંદેલ ગામના વતની શ્રી મોહમ્મદભાઈ રંગીલાએ આ હોળી તૈયાર કરી હતી. તેઓ છેલ્લા પાંચ વર્ષથી જલુંધ ગામમાં અને દસ વર્ષથી ઉંદેલ ગામમાં એક પણ રૂપિયો લીધા વિના હોળી તૈયાર કરી આપે છે. ગામના સરપંચ કાંતિભાઈ ઠાકોરના હસ્તે હોલિકાનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પૂજનમાં તાલુકા પંચાયત સભ્ય નીલકંઠભાઈ ઠાકોર, ગામના આગેવાન દિલીપભાઈ રતનસિંહ ગોહેલ, ગામ પંચાયત સભ્ય કનુભાઈ પરમાર અને ગામના મહારાજ ભાસ્કર મહારાજ પણ જોડાયા હતા. આ પ્રસંગે ભૂપેન્દ્રભાઈ વ્યાસ, ગામના મંદિરના પૂજારી કનુભાઈ આચાર્ય અને સિતારામભાઈ પડ્યા પણ હાજર રહ્યા હતા. સમસ્ત ગ્રામજનોએ પૂજન અને હોલિકા દહનનો લાભ લીધો હતો.
ઓર્ચિડ એક્ઝોટીકા સોસાયટીમાં હોળીની ઉજવણી:સભ્યોએ મોટી સંખ્યામાં પરંપરાગત રીતે પૂજા કરી
મકરબા સ્થિત ઓર્ચિડ એક્ઝોટીકા સોસાયટીમાં વૈદિક હોળીની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં સોસાયટીના સભ્યોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. તેમણે પરંપરાગત રીતિ-રિવાજ મુજબ હોળીની પૂજા કરી હતી. આસપાસની અન્ય સોસાયટીઓના સભ્યો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા, જેના કારણે ઉજવણી વધુ ભવ્ય બની હતી.
આત્રેય એલિગન્સમાં હોલિકા દહન અને હોળીની ઉજવણી:નાના ચિલોડા, અમદાવાદમાં સોસાયટી કમિટીએ આયોજન કર્યું
આત્રેય એલિગન્સ સોસાયટી, નાના ચિલોડા, અમદાવાદ ખાતે હોલિકા દહન અને હોળી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. સોસાયટી કમિટી અને રહેવાસીઓએ આ ઉત્સવને ઉત્સાહભેર માણ્યો હતો.આ ઉજવણીનું આયોજન સોસાયટી કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં અખિલેશભાઈ, પ્રવીણભાઈ, જીતુભાઈ, મહિપતભાઈ, ધવલભાઈ, પ્રકાશભાઈ, હિતેશભાઈ, પ્રકાશભાઈ, વિનોદભાઈ, અંકિતભાઈ, સંજયભાઈ, રામવીરભાઈ, ગબ્બરભાઈ અને અર્પણભાઈ સહિતના સભ્યોએ સક્રિય ભૂમિકા ભજવી હતી.સોસાયટીના તમામ રહેવાસીઓ અને બાળકોએ પણ આ પર્વની ઉજવણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સૌએ એકબીજાને રંગો લગાવીને અને શુભેચ્છાઓ પાઠવીને હોળીનો આનંદ માણ્યો હતો.
ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં બે દિવસ પૂર્વે જૂની માથાકુટની દાઝમાં એક પરિવાર પર હુમલો અને ઘરમાં તોડફોડની ઘટના સામે આવી હતી. જેમાં પાડોશી સાથે થયેલી બોલાચાલી બાદ ધમકી આપી ત્યારબાદ રાત્રિના સમયે શખસોએ છરી અને લોખંડના પાઈપ સાથે ઘરમાં ઘૂસી તોડફોડ કરી અંદાજે 15 હજાર રૂપિયાનું નુકસાન કર્યું હતું. જે મામલે ઘોઘારોડ પોલિસે ત્વરિત કાર્યવાહી કરી 5 શખસને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘર પાસે આવી અપશબ્દો કહી ધમકી આપીઆ બનાવ અંગે ઘોઘારોડ પોલિસ મથકેથી મળતી માહિતી અનુસાર, 2 ફેબ્રુઆરીના રોજ ભાવનગર શહેરના ખેડૂતવાસમાં રામાપીરની દેરી પાસે રહેતા લાભુબેન કિશોરભાઈ ગોહેલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના દીકરાને થોડા દિવસો પહેલા પાડોશમાં રહેતા સંજય ઉર્ફે સુનિલ રમેશભાઈ ડાભી સાથે માથાકુટ થઈ હતી, જેને લઈ તેઓએ અગાઉ અરજી કરી હતી. જે બાબતની દાઝ રાખીને બે દિવસ પૂર્વે સાંજના સમયે સંજય ઉર્ફે સુનિલ ધારીયું લઈને તેમના ઘર સામે આવ્યો હતો, તેમજ અપશબ્દો બોલી અને તેઓના દીકરા ને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાને પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સંજયને ઝડપી લીધો હતો. લોખંડના પાઈપથી ફ્રીઝ, વોટર કુલર અને ડ્રેસિંગના કાચ તોડી નાખ્યાંત્યારબાદ રાત્રિના સમયે સંજયનો ભાઈ બિજલ ઉર્ફે રવિ ઉર્ફે કાળો રમેશભાઈ ડાભી તેમજ વિનય ઉર્ફે કાળો વિજયભાઈ પરમાર, ચેતન ભનાભાઈ મકવાણા અને નિલેશ ઉર્ફે ભાજી વિજયભાઈ પરમાર તેમના ઘરે આવ્યા હતા. જે લોકોએ છરીઓ અને લોખંડના પાઈપ સાથે ઘરમાં ઘૂસી ફ્રીઝ, વોટર કુલર અને ડ્રેસિંગના કાચ તોડી તોડફોડ કરી હતી, જેમાં આશરે રૂ. 15 હજારનું નુકસાન કર્યું હતું. જે ફરિયાદના આધારે ઘોઘારોડ પોલીસે સંજય ઉર્ફે સુનિલ સહિત તમામ શખ્શો સામે BNS કલમ 352, 351(3), 333, 324(4), 54 તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધ્યો હતો. પોલીસે ફરિયાદના આધારે આરોપીઓને ઝડપી પાડ્યાંઆ બનાવ અંગે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હુમલો અને તોડફોડ કરનાર સંજય ઉર્ફે સુનિલ ડાભી, બીજલ ઉર્ફે કાળુ ઉર્ફે રવિ ડાભી, વિજય ઉર્ફે કાળો પરમાર, ચેતન મકવાણા, નિલેશ ઉર્ફે ભાજી પરમાર તમામ ખેડૂતવાસ ભાવનગરના રહેવાસીઓને ઘોઘારોડ પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદ તાલુકાના ઘટક–1 હેઠળના તમામ આંગણવાડી કેન્દ્રોમાં હોળી અને ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી. જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરા ચૌહાણના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં બાળકો અને વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉજવણીના ભાગરૂપે આંગણવાડી કેન્દ્રોમાં હોળી સંબંધિત વિવિધ શૈક્ષણિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજાઈ હતી. બાળકોને હોળી પર્વનું ઐતિહાસિક અને સામાજિક મહત્ત્વ સમજાવવામાં આવ્યું. રંગોળી બનાવવી, ચિત્રકામ, ગીત-ગાન અને વાર્તા વર્ણન જેવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ વિકસાવવાનો પ્રયાસ કરાયો. બાળકો રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ થઈ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આંગણવાડી કાર્યકર બહેનોએ બાળકોને હોળી પર્વનો સંદેશ સમજાવ્યો. પર્યાવરણમિત્ર હોળી ઉજવવા, પ્રાકૃતિક રંગોનો ઉપયોગ કરવા અને પાણીનો બગાડ ટાળવા અંગે માર્ગદર્શન અપાયું. આ ઉપરાંત, સુરક્ષિત રીતે તહેવાર ઉજવવા માટેની જરૂરી તકેદારીઓ વિશે પણ સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત વાલીઓ અને ગ્રામજનોએ પણ બાળકોનો ઉત્સાહ વધાર્યો અને ઉજવણીમાં સહભાગી બન્યા. આવા કાર્યક્રમો દ્વારા બાળકોમાં સંસ્કાર, પરંપરા અને સામાજિક મૂલ્યો પ્રત્યે જાગૃતિ આવે છે, તેમજ તહેવારોનો સકારાત્મક સંદેશ સમાજ સુધી પહોંચે છે. કાર્યક્રમના અંતે બાળકોને ખજૂર અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું. સમગ્ર ઉજવણી આનંદમય, શિસ્તબદ્ધ અને ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ.
સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના જેન્ડર રિસોર્સ સેન્ટર દ્વારા સંયુક્ત રીતે 'SETU' કાર્યક્રમ અંતર્ગત 'જેન્ડર સેન્સિટાઇઝેશન, પોષણ અને PoSH જાગૃતિ' વિષય પર એક સેમિનાર યોજાયો હતો. કુલપતિ ડૉ. એસ. ડી. સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સેમિનારમાં 350થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ડૉ. પી. ટી. પટેલે સ્વાગત પ્રવચન આપ્યું હતું અને વિદ્યાર્થીઓને સ્ત્રી-સન્માનના ગુણો કેળવવા પર ભાર મૂક્યો હતો. કુલપતિ ડૉ. એસ. ડી. સોલંકીએ મહિલાઓ અને વિદ્યાર્થીનીઓની જાતીય સતામણી અટકાવવા માટે કાયદાકીય જાગૃતિના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે વિદ્યાર્થીઓના સારા સ્વાસ્થ્ય માટે પોષણસ્તર સુધારવા અંગે પણ સૂચનો કર્યા હતા.વિષય નિષ્ણાત ડૉ. પ્રીતિ દવેએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સંતુલિત અને પૌષ્ટિક આહારના મહત્વ વિશે સમજાવ્યું હતું. પાલનપુર મહિલા પોલીસ સ્ટેશનના કાઉન્સેલર જિગીષાબેન તરારે મહિલા જાતીય સતામણી નિવારણ અધિનિયમ અને જાતિગત ભેદભાવ દૂર કરવા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે કટોકટીના સમયે પોલીસની મદદ કેવી રીતે લેવી તે અંગે પણ માર્ગદર્શન આપ્યું. દાંતીવાડા કોર્ટના એડવોકેટ પી. એચ. સાંખલાએ મહિલા સુરક્ષા માટેના વિવિધ કાયદાકીય પાસાઓ વિશે છણાવટ કરી હતી.આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના સંશોધન નિયામક ડૉ. સી. કે. પટેલ, કુલસચિવ ડૉ. પી. ટી. પટેલ, નિયામક (વિદ્યાર્થી કલ્યાણ) ડૉ. કે. પી. ઠાકર અને SETU કાર્યક્રમના નોડલ અધિકારી ડૉ. પ્રીતિ એચ. દવે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. કે. પી. ઠાકરે સેમિનારને સફળ બનાવવા બદલ તમામ મહાનુભાવો અને આયોજક ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગઢડા ગોપીનાથજી મંદિરે ભક્તોની ભારે ભીડ:સંતોએ ભગવાનને રંગ ઉડાડી ધુળેટી પર્વ ઉજવ્યો, પાંચ આરતી થઈ
ગઢડાના સુપ્રસિદ્ધ ગોપીનાથજી મંદિરે ધુળેટી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. મંદિરમાં સંતોએ ગોપીનાથજી ભગવાનને રંગો અર્પણ કરી ધુળેટી પર્વની ઉજવણી કરી હતી. ભગવાનને વિવિધ રંગો અને પિચકારીઓથી દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. સવારથી બપોર સુધીમાં કુલ પાંચ આરતી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. ભક્તોએ ગોપીનાથજી ભગવાનની આરતી અને દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધુળેટી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, કારણ કે સ્વામિનારાયણ ભગવાને સંતો અને મહંતો સાથે રંગોથી ધુળેટી રમી હતી. આ અંગે ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન હરિજીવનદાસજી સ્વામીએ માહિતી આપી હતી.
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ, મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ હોળી અને ધુળેટીના પવિત્ર પ્રસંગે સંતવાણીમાં મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે ધુળેટીના દિવસે લોકો વિવિધ રંગોથી રંગાય છે, પરંતુ આ રંગો પાણીથી ધોવાઈ જાય છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ ભારપૂર્વક જણાવ્યું કે, આત્માને નિખારવા માટે સદ્ગુણો અને સત્સંગના રંગથી રંગાવું જોઈએ, જેનાથી શાશ્વત શાંતિની અનુભૂતિ થાય છે. તેમણે સત્ય અને પ્રામાણિકતાને સૌથી પાકા રંગ ગણાવ્યા. સત્ય માટે જીવનારનો અંતે વિજય થાય છે, જ્યારે પ્રામાણિકતાથી મેળવેલું ધન લાંબા સમય સુધી સફળતા ટકાવી રાખે છે. તેમણે નમ્રતાના ગુણનું મહત્વ સમજાવતા કહ્યું કે, નમ્ર વ્યક્તિ ઉચ્ચ સ્થાને પહોંચે છે, જ્યારે અભિમાનીનો ફુગ્ગો ગમે ત્યારે ફૂટી શકે છે. અહંકાર જીવનને બગાડે છે, જ્યારે નમ્રતા વ્યક્તિત્વને ખીલવે છે. આજના યુગમાં સંતોષને દુર્લભ ગુણ ગણાવતા તેમણે કહ્યું કે, જે મળ્યું છે તેમાં આનંદ લેવો અને તેને શ્રી સ્વામિનારાયણ ભગવાનની કૃપા માનવી એ જ સાચા સુખની ચાવી છે. આમ, સાધુ પ્રેમવત્સલદાસજીએ સત્ય, પ્રામાણિકતા, નમ્રતા અને સંતોષ જેવા સદ્ગુણો અપનાવીને સત્સંગના રંગે રંગાઈને સુખી થવાનો સંદેશ આપ્યો હતો.
સુરત એટલે શોખીનોનું શહેર.આ વાક્ય માત્ર કહેવા ખાતર નથી, પણ સુરતીઓએ સમયાંતરે પોતાની જીવનશૈલી અને મોજ-શોખથી આ વાતને સાબિત કરી બતાવી છે. સુરતના લોકો જ્યારે કોઈ વસ્તુ પાછળ ઘેલા થાય છે, ત્યારે તેમના માટે કિંમતના આંકડા ગૌણ બની જતા હોય છે. ખાણી-પીણીથી લઈને લક્ઝરી લાઈફસ્ટાઈલ સુધી સુરતીઓ હંમેશા મોખરે રહ્યા છે. તાજેતરમાં સુરત RTO ખાતે યોજાયેલી નવી 'JX' સિરીઝના ફેન્સી નંબરોની હરાજીએ આ વાત પર મહોર લગાવી દીધી છે. આ હરાજીમાં જૂના તમામ રેકોર્ડ ધરાશાયી થયા છે અને સુરતના એક જાણીતા ઉદ્યોગપતિ પરેશ ખંડેલવાલે પોતાની 6 કરોડની લેમ્બોર્ગિની 'ડ્રીમ કાર' માટે જે રકમ ખર્ચી છે, તેણે આખા રાજ્યમાં ચર્ચા જગાવી છે. 0001 નંબર માટે રૂ. 13.81 લાખની રેકોર્ડબ્રેક બોલીસુરત RTO દ્વારા ફોર વ્હીલર માટેની નવી 'JX' સિરીઝ બહાર પાડવામાં આવી હતી. આ સિરીઝમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર '0001' નંબર હતો. આ નંબર મેળવવા માટે શહેરના અનેક દિગ્ગજ ઉદ્યોગપતિઓ અને કાર પ્રેમીઓ મેદાનમાં હતા. જોકે, તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકતા યશવી ગ્રુપના સ્થાપક અને બિઝનેસમેન પરેશ ખંડેલવાલે આ નંબર મેળવવા માટે રૂ. 13,81,000ની જંગી બોલી લગાવી હતી. સૌથી વધુ રકમ ચૂકવવાનો નવો રેકોર્ડ સ્થાપિતઆ સાથે જ તેમણે સુરત RTOના ઈતિહાસમાં એક જ નંબર માટે સૌથી વધુ રકમ ચૂકવવાનો નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. રસપ્રદ વાત એ છે કે, 13.81 લાખ રૂપિયામાં આજના સમયમાં એક મધ્યમવર્ગીય પરિવાર પ્રીમિયમ સેડાન અથવા શાનદાર SUV કાર ખરીદી શકે છે, પરંતુ પરેશભાઈએ આ રકમ માત્ર પોતાની લેમ્બોર્ગિની કારની નંબર પ્લેટ માટે ખર્ચી નાખી છે. કોણ છે બિઝનેસમેન પરેશ ખંડેલવાલ?પરેશ ખંડેલવાલ સુરતના જાણીતા ઉદ્યોગપતિ છે. તેઓ યશવી ગ્રુપ (Yashvi Group)ના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર છે. તેમનો મુખ્ય વ્યવસાય રિયલ એસ્ટેટ અને કોમર્શિયલ પ્રોપર્ટી ડેવલપમેન્ટ સાથે જોડાયેલો છે. સુરતના રિયલ એસ્ટેટ માર્કેટમાં તેમનું નામ ખૂબ જ આદર સાથે લેવામાં આવે છે. સમૂહ લગ્નને લઈને હાલમાં વિવાદમાંપરેશ ખંડેલવાલ માત્ર બિઝનેસ ક્ષેત્રે જ નહીં, પણ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે પણ જાણીતા છે. વર્ષ 2024માં પ્રખ્યાત ગાયિકા કિંજલ દવેને નવરાત્રીમાં સુરત લાવીને તેમણે ભારે લોકપ્રિયતા મેળવી હતી, જે સિલસિલો 2025માં પણ ચાલુ રહ્યો હતો. તેઓ 'યશવી ફાઉન્ડેશન' દ્વારા વિવિધ સામાજિક સેવાકીય કાર્યો પણ કરે છે. જોકે, હાલમાં ફાઉન્ડેશન દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં એક હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતીના લગ્નને લઈને તેઓ વિવાદોમાં પણ રહ્યા છે. પોતાનો જ રેકોર્ડ તોડવાની પરંપરાપરેશ ખંડેલવાલને મોંઘી કારો અને ફેન્સી નંબરોનો ભારે શોખ છે. તેમની પાસે બીએમડબલ્યુ, મર્સિડીઝ, રેન્જ રોવર અને લેમ્બોર્ગિની જેવી લક્ઝરી કારોનું કલેક્શન છે. તેમની મોટાભાગની કારોના નંબર '0001' છે. એક વર્ષ અગાઉ તેમણે પોતાની રૂ. 2.70 કરોડની રેન્જ રોવર માટે 'RZ' સિરીઝમાં '0001' નંબર મેળવવા રૂ. 11.95 લાખ ખર્ચ્યા હતા. આ વખતે રૂ. 13.81 લાખ ખર્ચીને તેમણે પોતાનો જ અગાઉનો રેકોર્ડ તોડી નાખ્યો છે. JX સિરીઝના અન્ય ફેન્સી નંબરોનો દબદબોઆ હરાજીમાં માત્ર '0001' જ નહીં, પણ અન્ય આંકડાઓ માટે પણ કાર પ્રેમીઓ વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી. નંબર ‘9999’ 3.62 લાખ રૂપિયા ખર્ચીને એક કાર માલિકે લીધો હતો. જયારે જેમ્સ બોન્ડ સ્ટાઈલ ‘0007’ નંબર માટે 3.01 લાખ રૂપિયાની બોલી લગાવાઈ હતી. GJ-05-JX-1234 માટે 2,83,000, GJ-05-JX-9119 માટે 81,000, GJ-05-JX- 0005 માટે 70,000, GJ-05-JX-7000 માટે 65,000, GJ-05-JX-1000 માટે 61,000, GJ-05-JX-0006 માટે 55,000 અને GJ-05-JX-0012 માટે 42,000ની બોલી લગાવી લીધી હતી. આ આંકડાઓ સાબિત કરે છે કે સુરતમાં ફેન્સી નંબર મેળવવાનો ક્રેઝ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. RTO અધિકારીઓના જણાવ્યા અનુસાર, અગાઉ ક્યારેય કોઈ એક નંબર માટે આટલી મોટી રકમની ઓફર જોવા મળી નથી.
કુમકુમ મંદિરમાં બુધવારે ફૂલદોલોત્સવ ઉજવાશે:સ્વામિનારાયણ ભગવાન પર કેશુડાના જળનો છંટકાવ થશે
મણિનગર સ્થિત સદ્ગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે બુધવાર, ૪ માર્ચના રોજ ફૂલદોલોત્સવની ઉજવણી કરવામાં આવશે. સવારે ૯ થી ૧૦ વાગ્યા દરમિયાન આ ઉત્સવ યોજાશે. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ શ્વેત વસ્ત્રો ધારણ કરાવવામાં આવશે અને કેશુંડાના જળથી છંટકાવ કરવામાં આવશે. ઉત્સવ દરમિયાન નંદપદવીના સંતો દ્વારા રચિત કીર્તનો ગાવામાં આવશે અને ઓચ્છવ યોજાશે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ ભક્તોને ધાણી, ખજૂર અને ચણાનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે. કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ ફૂલદોલોત્સવ અને રંગોત્સવના મહત્વ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ફૂલદોલોત્સવ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો અત્યંત પ્રિય ઉત્સવ હતો. ભગવાન દર વર્ષે ધોરાજી, ગઢડા, લોયા, પંચાળા, બોટાદ, સારંગપુર અને વડતાલ સહિતના અનેક સ્થળોએ આ ઉત્સવ ઉજવતા હતા. વડતાલમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને બાર બારણાંના હિંડોળમાં ઝુલાવવામાં આવ્યા હતા અને તેમણે બાર સ્વરૂપે દર્શન આપ્યા હતા. સાધુ પ્રેમવત્સલદાસજીએ વધુમાં જણાવ્યું કે, તમામ ઉત્સવોમાં રંગોત્સવ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અગ્રણી સ્થાન ધરાવે છે. ભગવાન આ ફૂલદોલોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવતા હતા. આ ઉત્સવની સ્મૃતિમાં આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં છેલ્લા ૨૦૦ વર્ષથી ફૂલદોલોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉપર ગુલાલ અને કેસુડાંના જળથી તૈયાર કરાયેલો રંગ છાંટવામાં આવે છે, તેમજ સંતો અને ભક્તો પણ એકબીજા પર રંગ છાંટે છે. ભગવાનને ધાણી અને હારડાંના હારના શણગાર પણ સજાવવામાં આવે છે.
પેથાપુરમાં હોળીની આધ્યાત્મિક અને રંગીન ઉજવણી:સ્વપ્નવિલા સહિતની સોસાયટીઓએ હોલિકા દહનનું આયોજન કર્યું
ગાંધીનગરના પેથાપુર ખાતે વસંતના આગમનના આધ્યાત્મિક અને રંગીન તહેવાર હોળીની ઉજવણી કરવામાં આવી હતી. સ્વપ્નવિલા-3, જૈન ફ્લેટ, સ્વર્ગ સ્વપ્ન, આમ્રકુંજ, શ્લોક પેરેડાઇઝ, મહાલક્ષ્મી, શ્લોક પરિસર, સ્વપ્નવિલા-1, 2 સહિતની સોસાયટીઓએ મળીને હોલિકા દહનનું આયોજન કર્યું હતું. પરંપરાગત રીતે લોકોએ હોળીની જ્વાળાઓમાં ખેતીનું ધાન, ધાણી, ચણા, ખજૂર અને શ્રીફળ જેવા દ્રવ્યો હોમીને પૂજા-અર્ચના કરી હતી.નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌએ હોળીની પ્રદક્ષિણા કરી સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
નરોડા કોલેજમાં કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવ યોજાઈ:46 વિદ્યાર્થીઓએ ઇન્ટરવ્યૂ આપ્યા, 4 કંપનીઓ જોડાઈ
નરોડા સ્થિત શ્રીમતી એ.પી. પટેલ આર્ટ્સ એન્ડ સ્વ. એન.પી. પટેલ કોમર્સ કોલેજ અને એલ્યુમનાઇ એસોસિયેશન દ્વારા સંયુક્ત રીતે કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવમાં M.A., M.Com., B.A. અને B.Com. સેમેસ્ટર–૬ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત મહેમાનોના સ્વાગત સાથે થઈ હતી. કોલેજના પ્રિન્સિપાલ મુકેશભાઈ પ્રજાપતિએ પોતાના ઉદ્બોધનમાં વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ, સંવાદ કૌશલ્ય અને વ્યવસાયિક કુશળતા વિકસાવવા પ્રેરણા આપી હતી. તેમણે આવા કાર્યક્રમોને વિદ્યાર્થીઓને અભ્યાસ પછી તરત જ રોજગારની તક પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ગણાવ્યા હતા. આ પ્લેસમેન્ટ ડ્રાઇવમાં ચાર પ્રતિષ્ઠિત કંપનીઓ – સંગાથ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ, બેલ્ટ એન્ડ બેરિંગ હાઉસ પ્રાઇવેટ લિમિટેડ, મારુતિ એસોસિયેટ્સ અને શ્યામલ એસોસિયેટ્સ – જોડાઈ હતી. કંપનીના પ્રતિનિધિઓએ ટેલી કોલર, ડેટા એન્ટ્રી ઓપરેટર, મેનેજર, સેલ્સ ઓફિસર અને આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ જેવી વિવિધ જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ લીધા હતા. કુલ ૪૬ વિદ્યાર્થીઓએ પોતાના રિઝ્યુમે સાથે હાજરી આપીને ઇન્ટરવ્યૂ આપ્યા હતા. વિદ્યાર્થીઓમાં આ કાર્યક્રમ પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કંપનીના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓના વિષયજ્ઞાન અને વ્યક્તિત્વ વિકાસની પ્રશંસા કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સુચારૂ આયોજન પ્રો. પારૂલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કોલેજ અને એલ્યુમનાઇ એસોસિયેશનના આ સંયુક્ત પ્રયાસથી યોજાયેલ કેમ્પસ પ્લેસમેન્ટ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે કારકિર્દીની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયો છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ દ્વારા ૨ માર્ચના રોજ અનુસ્નાતક ડિપ્લોમા, અનુસ્નાતક અને સ્નાતક અભ્યાસક્રમોના અંતિમ સત્રના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોરસિંહ એન. ચાવડા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે અધ્યાપક વિરેનભાઈ પારેખ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મહેમાનોના સત્કાર દ્વારા કરવામાં આવી હતી. કુલપતિ ડો. ચાવડાએ તેમના પ્રવચનમાં જણાવ્યું કે પત્રકારત્વ માત્ર રોજગારનું સાધન નથી, પરંતુ સમાજ પ્રત્યેની એક મહત્વપૂર્ણ જવાબદારી છે. તેમણે વિદ્યાર્થીઓને સત્યનો નિર્ભય પક્ષ લેવા, નિષ્પક્ષતા જાળવવા અને ધીરજપૂર્વક કાર્ય કરવા પ્રેરણા આપી. કુલપતિએ ભારપૂર્વક જણાવ્યું કે આજના ડિજિટલ યુગમાં માહિતી ઝડપથી પ્રસરે છે, ત્યારે તેની વિશ્વસનીયતા જાળવવી પત્રકારોની મુખ્ય ફરજ છે. તેમણે નૈતિકતા, સંવેદનશીલતા અને સમાજહિતને પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો. મુલાકાતી અધ્યાપક વિરેનભાઈ પારેખે પત્રકારત્વ ક્ષેત્રમાં સફળતા માટે કમ્પ્યુટર કૌશલ્ય, અખબારી લેખન શૈલી અને વર્ગખંડમાં નિયમિતતાનું મહત્વ સમજાવ્યું. પ્રવચનો બાદ વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગરબા અને ચલચિત્ર ગીતો પર નૃત્ય રજૂ કર્યું હતું. આ આનંદમય વાતાવરણ વચ્ચે ભોજન સાથે વિદાય સમારંભનું સમાપન થયું.
કઠવાડામાં વિરાટ હિન્દુ સંમેલન સંપન્ન:સમરસતા અને સંસ્કૃતિનો ભવ્ય સંગમ જોવા મળ્યો
કઠવાડા ગામ ખાતે 1 માર્ચ ના રોજ કઠવાડા હિન્દુ સંમેલન સમિતિ દ્વારા 'વિરાટ હિન્દુ સંમેલન'નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ગામમાં ધાર્મિક, સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય ચેતનાનો માહોલ જોવા મળ્યો હતો. સંમેલન પૂર્વે ગામમાં એક ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું. આ રેલીમાં નાના બાળકોથી લઈને યુવાનો, વડીલો અને મહિલાઓ સહિત સર્વે ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર ગામે એકતા અને સંસ્કૃતિનો અનોખો સંદેશ આપ્યો હતો. મુખ્ય કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ હિન્દુ સંવેદના, સંસ્કૃતિના સંરક્ષણ અને સામાજિક સમરસતા જેવા વિષયો પર પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉપસ્થિત શ્રોતાઓએ આ વિચારોને આત્મિયતાપૂર્વક સ્વીકાર્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓએ ઉપસ્થિત સૌનું મન મોહી લીધું હતું.કાર્યક્રમનો શિખરબિંદુ ભારત માતાની આરતી હતી, જેમાં સમગ્ર પંડાલ દેશભક્તિના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો. ત્યારબાદ સમરસતાના અદભુત દ્રષ્ટાંતરૂપે ગામના વિવિધ ઘરોમાંથી સુખડીનો પ્રસાદ એકત્રિત કરી ઉપસ્થિત સર્વે ભાઈ-બહેનોને વિતરણ કરવામાં આવ્યો. આ પ્રસંગે ગામમાં પરસ્પર પ્રેમ, એકતા અને ભાઈચારાની ભાવના સ્પષ્ટપણે પ્રગટ થઈ હતી. આ વિરાટ હિન્દુ સંમેલન કઠવાડા ગામ માટે એક યાદગાર અને પ્રેરણાસ્પદ ઘટના બની રહ્યું છે. ગામના સર્વે વર્ગની સક્રિય ભાગીદારી અને હિન્દુ સંમેલન સમિતિના સુવ્યવસ્થિત આયોજનને સર્વત્ર પ્રશંસા મળી રહી છે.
સુરજપરમાં ગાયના છાણથી હોલિકા દહન:સુરજપર ગામમાં હોલિકા દહન કરીને પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપ્યો
સુરજપર ગામમાં ગ્રામજનો દ્વારા હોલિકા દહન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરંપરાગત રીતે ગાયના છાણનો ઉપયોગ કરીને હોલિકા પ્રગટાવવામાં આવી હતી. ગામના લોકોએ પર્યાવરણ સુરક્ષા અને પ્રાકૃતિક સંસાધનોના જતનનો સંદેશ આપવા માટે આ પહેલ કરી હતી. ગાયના છાણનો ઉપયોગ કરીને પ્રદૂષણ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પાટણ તાલુકાના ચંદ્રુમણા ગામના એક યુવક સાથે લગ્નના બહાને છેતરપિંડી આચરવામાં આવી છે. યુવક પાસેથી રોકડા રૂ. 2.15 લાખ અને સોનાનું પેન્ડલ પડાવી દુલ્હન ફરાર થઈ ગઈ હતી. આ મામલે પાટણ તાલુકા પોલીસે 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદ મુજબ, ચંદ્રુમણા ગામે ખેતીકામ કરતો યુવક લગ્ન કરવા ઈચ્છતો હતો. તેમના પરિચિતોએ બનાસકાંઠાના દાંતાની રેણુકા નામની યુવતી સાથે તેમનો સંપર્ક કરાવ્યો હતો. લગ્ન કરાવવા માટે વચેટિયાઓ અને યુવતીના પરિવારજનોએ રૂ. 2 લાખ અને અન્ય ખર્ચની માંગણી કરી હતી. લગ્નમાં યુવતીને સોનાનું 'ઓમ' વાળું પેન્ડલ પણ પહેરાવ્યુંતારીખ 29 સપ્ટેમ્બર, 2025 ના રોજ યુવતીને જોયા બાદ, 30 સપ્ટેમ્બર, 2025 ના રોજ હારીજ નજીકના એક મંદિરમાં તેમના લગ્ન કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પાટણ કોર્ટમાં લગ્નની નોંધણી પણ કરવામાં આવી હતી. લગ્ન સમયે યુવકના પરિવારે આરોપીઓને ટુકડે-ટુકડે કુલ રૂ. 2.15 લાખ રોકડા આપ્યા હતા અને યુવતીને સોનાનું 'ઓમ' વાળું પેન્ડલ પણ પહેરાવ્યું હતું. પાંચ દિવસમાં પરત મોકલી આપવાનું કહીને રેણુકાને લઈ ગયાલગ્નના આશરે 15 દિવસ પછી યુવતીનો ભાઈ અને અન્ય શખ્સો તેને તેડવા આવ્યા હતા. તેઓ પાંચ દિવસમાં પરત મોકલી આપવાનું કહીને રેણુકાને લઈ ગયા હતા. લાંબો સમય વીતવા છતાં પત્ની પરત ન આવતા, ઘનશ્યામ ઠાકોરે તપાસ કરતા જાણવા મળ્યું કે રેણુકાના અગાઉ પણ અન્ય એક યુવક સાથે લગ્ન થયેલા હતા. ના પત્ની પરત આવી ના નાણાંવારંવાર રજૂઆત કરવા છતાં પત્નીને પરત ન મોકલી કે લીધેલા નાણાં પાછા ન આપતા, ઘનશ્યામ ઠાકોરે આખરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પાટણ તાલુકા પોલીસે લાભુભાઈ પ્રવીણભાઈ વ્યાસ, વિશાલભાઈ પ્રવીણભાઈ બારોટ, રતાભાઈ જીવાભાઈ ગમાર, જીતુભાઈ રતાભાઈ ગમાર, રેણુકા રતાભાઈ ગમાર અને ભીમાભાઈ સરપંચ સામે ગુનાહિત કાવતરું અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પાલ વિસ્તારમાં હોળીકા દહન કરાયું:ચંદ્રગ્રહણના કારણે પૂર્ણિમાના બદલે ચૌદશે ઉજવાઈ હોળી
આ વર્ષે ૨૦૨૬માં ચંદ્રગ્રહણને કારણે હોળીકા દહન પૂર્ણિમાના બદલે ચૌદશના દિવસે કરવામાં આવ્યું હતું. દેશભરમાં ૨ માર્ચે હોળીકા દહન ઉજવાયું, જેમાં સુરત શહેરના પાલ વિસ્તારમાં પણ સાંજે ૭:૩૦ વાગ્યાની આસપાસ આયોજન કરવામાં આવ્યું હતું. પાલ વિસ્તારમાં બિલ્ડિંગના સભ્યો દ્વારા હોળી પ્રગટાવવામાં આવી હતી. મહારાજે વિધિવિધાનપૂર્વક હોળીકા દહનની પૂજા કરાવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત તમામ લોકોએ હોળીની પ્રદક્ષિણા કરી હતી. નાના બાળકો, મહિલાઓ અને વડીલો સહિત મોટી સંખ્યામાં લોકો હોળીકા પ્રાગટ્ય સમયે હાજર રહી દર્શનનો લાભ લીધો હતો. ખગોળશાસ્ત્રીઓ અનુસાર, હોળીની જ્વાળા જે દિશામાં ગઈ છે, તેના પરથી આગામી વર્ષ કેવું રહેશે અને ચોમાસામાં વરસાદ કેવો પડશે તેની સંભાવના વ્યક્ત કરવામાં આવશે.
સન સાઉથ રેયઝ સોસાયટીમાં હોળીની ઉજવણી:દક્ષિણ બોપલમાં પરંપરાગત રીતે ઉત્સાહભેર ઉજવાઈ
અમદાવાદના દક્ષિણ બોપલ સ્થિત સન સાઉથ રેયઝ સોસાયટીમાં આજે હોળીનો પવિત્ર તહેવાર વૈદિક પદ્ધતિથી ભારે ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો. સોસાયટીના તમામ સભ્યોએ શ્રદ્ધાપૂર્વક હોલિકા પૂજન કર્યું હતું. પરંપરાગત રીતિ-રિવાજોનું પાલન કરીને આ તહેવારની સુંદર રીતે ઉજવણી કરવામાં આવી હતી. સોસાયટીના ચેરમેન રણજીતસિંહજી અને તમામ કમિટી સભ્યોએ કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું હતું, જેના કારણે આ કાર્યક્રમ સફળ રહ્યો. સમિતિ વતી તમામ સભ્યોનો સહયોગ અને ઉપસ્થિતિ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
કાંકરિયાના શિક્ષિકા વાર્તાલેખન સ્પર્ધામાં વિજેતા:તેજલ ડણાક 730 સ્પર્ધકોમાંથી પાંચમા ક્રમે ઝળક્યા
કાંકરિયાની દીવાન-બલ્લુભાઈ પ્રાથમિક શાળાના કો-ઓર્ડિનેટર તેજલબહેન ડણાકે વાર્તાલેખન સ્પર્ધામાં પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમણે ગુજરાત અને મહારાષ્ટ્રના 730 સ્પર્ધકોમાંથી આ સિદ્ધિ મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધાનું આયોજન વાર્તામેળો પરિવાર અને હુનર ફાઉન્ડેશન (HUNAR Foundation) દ્વારા કરવામાં આવ્યું હતું. આ દસમી વાર્તાલેખન (હાસ્યવાર્તા) સ્પર્ધા હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો.
રાજકોટ શહેરના મેયરના પતિના ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો ફરી એક વખત ગાજ્યો હતો. મહાનગરપાલિકા કચેરીમાં કોંગ્રેસની મહિલા પાંખે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને હું ભ્રષ્ટાચારી મેયર છું ના પોસ્ટર બતાવવામાં આવ્યા હતા. જે બાદ મેયરનો ઘેરાવ કર્યો હતો. જોકે કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓને મેયરને પ્લાસ્ટિકનો બંગલો આપતા અટકાવવામાં આવ્યા હતા. આ દરમિયાન મહિલા કાર્યકર્તાઓએ હાય રે મેયર હાય હાયના નારા લગાવી છાજિયા લીધા હતા. જે વખતે મહિલા કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ હતુ. જોકે આ અંગે મેયરે કહ્યું કે મને કોણ ફસાવે છે તેનું હું નામ લઈ વિવાદમાં પડવા માંગતી નથી. રાજકોટ શહેર મહીલા કોંગ્રેસ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન આજે 3 માર્ચના રાજકોટ શહેર મહીલા કોંગ્રેસ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મેયરના પતિદેવ વિનોદ પેઢડિયા દ્વારા દ્વારા સંતકબીર રોડ ઉપર શિવ શક્તિ સોસાયટીમાં શ્રી સરકાર થયેલી સૂચિત સોસાયટીની જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામના મુદ્દે મહીલા કોંગ્રેસ દ્વારા કડક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. શહેરમાં વધી રહેલા ભ્રષ્ટાચાર અને સત્તાનો દુરુપયોગ સામે મહિલાઓએ ન્યાયની માંગ કરી હતી. રાજકોટ શહેર મહીલા કોંગ્રેસ પ્રમુખ દીપ્તિબેન સોલંકીએ જણાવ્યું હતું કે, મેયરના પતિદેવ દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જે તંત્રની નિષ્ક્રિયતા દર્શાવે છે. સામાન્ય નાગરિકો દ્વારા નાનામાં નાના નિયમભંગ માટે કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ સત્તાધીશો સાથે જોડાયેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવતી નથી, જે ભ્રષ્ટાચારનું જીવંત ઉદાહરણ છે. ભારતીય જનતા પાર્ટી ના શાસનમાં સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો હોય એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સમગ્ર મામલો માત્ર એક ગેરકાયદેસર બાંધકામનો નથી પરંતુ ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગનું પ્રતિક છે. જો સત્તાધીશો સાથે જોડાયેલા લોકો સામે કાર્યવાહી નહીં થાય તો કાયદા પર લોકોનો વિશ્વાસ નબળો પડશે. કાયદો દરેક માટે સમાન હોવો જોઈએ અને કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી. જ્યારે દીપુબેન રવિયાએ જણાવ્યું હતું કે શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણ પર તાત્કાલિક બુલડોઝર ફેરવવામાં આવ્યું તો મેયરના પતિના બંગલા પર શા માટે બુલડોઝર ફર્યુ નથી. જંગલેશ્વરમાં અનેક મુસ્લિમ પરિવારોનો રમજાન મહિનો ચાલી રહ્યો હતો આમ છતાં પણ તેની પરવાહ કર્યા વિના તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ તોડી પાડવામાં આવ્યું હતું. જેથી મેયરના પતિનું ગેરકાયદેસર બાંધકામ પણ તોડી પાડવામાં આવે તેવી માંગણી છે.
અમરેલી જિલ્લામાં વીજ પુરવઠાને સુદ્રઢ બનાવવા માટે રૂ. 70.62 કરોડના ખર્ચે MVCC (Medium Voltage Covered Conductor) કેબલ લગાડવાના પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે દેવરાજીયા મુકામે આ કામગીરીનો શુભારંભ થયો હતો. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા ફેઝ-1 અંતર્ગત અમરેલી જિલ્લામાં કુલ 945 કિલોમીટર લંબાઈમાં 45 ફીડરમાં MVCC કેબલ બિછાવવામાં આવશે. દેવરાજીયા ફીડર પર 18 કિલોમીટર લાંબો કેબલ રૂ. 1.41 કરોડના ખર્ચે નાખવામાં આવશે. મંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં જિલ્લામાં વીજ પુરવઠાની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થશે. MVCC કેબલના કારણે તમામ ઋતુમાં સાતત્યપૂર્ણ અને નિરાંત વીજ પુરવઠો ઉપલબ્ધ થશે. પવન, વરસાદ કે વૃક્ષોના કારણે થતા ટ્રિપિંગના બનાવોમાં ઘટાડો થશે અને લાઇન લોસ પણ ઘટશે. ખાસ કરીને અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના રાજુલા અને જાફરાબાદ તાલુકામાં વાતાવરણની અસરથી કેબલને થતા કાટથી મુક્તિ મળશે. હાલ જ્યોતિ ગ્રામ યોજના હેઠળ આવતા ગામડાં અને અન્ય ગ્રામીણ વિસ્તારોનો આ યોજનામાં સમાવેશ કરાયો છે. રાજ્ય સરકાર ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં સમાન અને ગુણવત્તાયુક્ત વીજ સેવા પહોંચાડવા પ્રતિબદ્ધ છે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય મહિડા, PGVCLના ડેપ્યુટી એન્જિનિયર દહિયા, તાલુકાના અગ્રણીઓ, વીજ કંપનીના અધિકારીઓ-કર્મચારીઓ અને દેવરાજીયાના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
મિડલ ઈસ્ટ યુદ્ધમાં ઈઝરાયલનો ડબલ અટેક! તેહરાન અને બેરૂતમાં હાહાકાર
(IMAGE - IANS) Tehran Beirut Bombing: મધ્ય-પૂર્વમાં ચાલી રહેલું યુદ્ધ હવે ભયાનક વળાંક લઈ રહ્યું છે. ઈઝરાયલ અને અમેરિકાના હુમલા બાદ હવે ઈરાન સાથે સીધી જંગ શરૂ થઈ ગઈ છે.
સુરેન્દ્રનગર ખાતે કોંગ્રેસના કાર્યકરો દ્વારા કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એપ્સટિન ફાઇલમાં તેમનું નામ સંડોવાયેલ હોવાના આક્ષેપોને પગલે સુરેન્દ્રનગર કોંગ્રેસ જિલ્લા કાર્યાલય ખાતે મહિલા કોંગ્રેસ અને કોંગ્રેસ સમિતિના કાર્યકરોએ પૂતળું દહન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ઝરણાબેન જાની, ચોટીલાના પૂર્વ યુથ કોંગ્રેસ પ્રમુખ મહાવીર સિંહ પરમાર, સોશિયલ મીડિયા પ્રમુખ શિશુપાલ સિંહ રાણા અને કટુડા તાલુકા પ્રમુખ શક્તિસિંહ ઝાલા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા. કાર્યકરોએ ન્યાય, પારદર્શિતા અને જવાબદારીની માંગણી કરી હતી.
ધરમપુર પાસે ઇકો કારની ટક્કર:28 વર્ષીય યુવાનનું મોત, પોલીસે ગુનો નોંધ્યો
વલસાડ જિલ્લાના ધરમપુર-વેરીભવાડા રોડ પર આવેલા ધામણી ગામ પાસે ગત સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતી મારૂતિ ઇકો કારના ચાલકે મોટરસાઇકલને ટક્કર મારતા 28 વર્ષીય યુવાનનું સારવાર મળે તે પહેલા જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટના ૨ માર્ચના રોજ સાંજે 6:15 કલાકે બની હતી. મળતી વિગત મુજબ, ધરમપુરના દાંડવળ ગામે રહેતા સોમાભાઈ વાજવડીયાનો પુત્ર કૈલાશભાઈ (ઉં.વ. 28) પોતાની હીરો સ્પ્લેન્ડર બાઇક (GJ-15-DE-0841) લઈને ધામણી ગામના સાવરમાળ ફળીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે વાંસદાના પ્રતાપનગરનો રહેવાસી કેતન હસમુખભાઈ પટેલ પોતાની મારૂતિ ઇકો કાર (GJ-15-CK-2705) લઈને ધરમપુરથી વેરીભવાડા તરફ જઈ રહ્યો હતો. કાર ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી કૈલાશની બાઇકને જોરદાર અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં કૈલાશને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ડાબા પગમાં ફ્રેક્ચર થયું હતું. અકસ્માત બાદ લોહીલુહાણ હાલતમાં તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેણે અંતિમ શ્વાસ લીધા હતા. આ અંગે મૃતકના પિતા સોમાભાઈએ ધરમપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કાર ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 281, 125(એ)(બી), 106(1) તથા એમ.વી. એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળની આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકોના નિવેદન નોંધી ટેક્નિકલ સર્વેલન ટીમની મદદ લઈને આગળની તપાસ હાથ ધરી છે.
દાહોદ જિલ્લામાં વિકાસ આયોજન અને ચાલી રહેલી વિવિધ કામગીરીની સમીક્ષા માટે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાભરના તાલુકા અધિકારીઓ અને અમલીકરણ અધિકારીઓ સાથે આયોજન સંબંધિત મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કોન્ફરન્સ દરમિયાન તાલુકાવાર અને વર્ષવાર આયોજનની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી. જેમાં પૂર્ણ થયેલા, બાકી રહેલા, શરૂ થયેલા અને હજુ શરૂ ન થયેલા કામો તેમજ પ્રગતિ હેઠળની યોજનાઓનો તલસ્પર્શી અહેવાલ રજૂ કરાયો હતો. દરેક તાલુકા અધિકારીઓએ પોતાના વિસ્તારની કામગીરી અને તેમાં આવતી અડચણો વિશે વિગતવાર માહિતી આપી હતી. વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળ એટીવીટીના કામોની સ્થિતિ અંગે પણ ચર્ચા થઈ. જિલ્લા સ્તરે ઉપલબ્ધ ભંડોળ અને સમયમર્યાદાને ધ્યાનમાં રાખીને પ્રાથમિકતાના આધારે કામગીરી પૂર્ણ કરવા સૂચનાઓ અપાઈ હતી. બાકી રહેલા કામોમાં વિલંબ ન થાય અને સામાન્ય નાગરિકોને સમયસર લાભ મળે તે માટે અધિકારીઓને જવાબદારીપૂર્વક કાર્ય કરવા જણાવાયું હતું. કલેકટર યોગેશ નિરગુડેએ જણાવ્યું કે, આયોજનના બાકી કામો ઝડપથી પૂર્ણ કરવા અત્યંત જરૂરી છે. તેમણે ઉમેર્યું કે, તાલુકાવાર માહિતી પોર્ટલ પર નિયમિત અને સમયસર અપડેટ થતી રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ, જેથી જિલ્લાની વાસ્તવિક પ્રગતિનો સચોટ આંકડો ઉપલબ્ધ રહે. નિયમો મુજબ અને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ થાય તે માટે તમામ વિભાગોએ સંકલન સાથે કામ કરવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો. બેઠકમાં નિવાસી અધિક કલેકટર જે.એમ. રાવલ સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા. દેવગઢ બારિયાના નાયબ વન સંરક્ષક મિતેશ પટેલ, ડીઆરડીએ નિયામક, પ્રાંત અધિકારીઓ અને તાલુકા વિકાસ અધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. બેઠકના અંતે જિલ્લામાં વિકાસ કાર્યો વધુ અસરકારક રીતે આગળ વધે તે માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અમદાવાદ શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા મજૂર ગામ પાસે એકતા નગરની ચાલીમાં પોલીસ કોન્સ્ટેબલ ઉપર બુટલેગરે હુમલો કર્યો હોવાની ઘટના બની છે. ત્રણ લોકોએ ભેગા મળી અને કોન્સ્ટેબલના માથામાં લાકડીઓ મારી હતી. જેનાથી કોન્સ્ટેબલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તું અમારા ધંધાની બાતમી કેમ આપે છે એમ કહી અને કોન્સ્ટેબલ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. કાગડાપીઠ પોલીસ દ્વારા ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ફરજ જવા નીકળેલા કોન્સ્ટેબલને બૂટલેગરે રસ્તા વચ્ચે રોક્યામળતી માહિતી મુજબ, મજૂર ગામમાં બાલમુકુંદ સોસાયટીમાં રહેતા જયવર્ધનભાઈ પરમાર શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. બે માર્ચના રોજ તેઓ નોકરી ઉપર ગયા હતા અને બપોરે 2 વાગ્યે રિસેસના સમયમાં ઘરે જમવા માટે આવ્યા હતા. બપોરે પોણા ત્રણ વાગ્યાની આજુબાજુ નોકરી પર પરત જવા માટે નીકળ્યા હતા ત્યારે મજૂર ગામ એકતા નગરની ચાલી પાસેથી પસાર થતાં હતા. તે દરમિયાન એકતા નગરની ચાલીમાં રહેતો ભાવેશ રાઠોડે તેમને ઉભા રાખ્યા હતા. ત્રણ જણાએ ભેગા મળી લાકડાના ડંડા વડે અને ગડદાપાટુનો માર માર્યો'તું અમારા ધંધાની બાતમી કેમ આપે છે, તું જો હું મારા ભાઈ પેપ્સી રાઠોડ તથા મારો મિત્ર દિવ્યાંગને બોલાવી લાવું છું'. જેથી જયવર્ધને કહ્યું હતું કે, તારા ધંધા બાબતે મને કંઈ ખબર નથી મેં કોઈ બાતમી આપી નથી. જેથી ભાવેશે ઉશ્કેરાઈ અને ગંદી ગાળો આપી હતી. ત્યારે ગાળો ન બોલવા સમજાવતા ત્રણેય જણાએ ભેગા મળી લાકડાના ડંડા વડે અને ગડદાપાટુનો માર માર્યો હતો. જે દરમિયાન લોકોના ટોળા ભેગા થઈ જતાં ત્રણેય ફરાર થઈ ગયા હતા. જે બાદ ઈજાગ્રસ્ત થયાં હોવાથી તેઓને સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓની તપાસ હાથ ધરી છે. પોલીસે ત્રણેય આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યાશહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાય સમયથી હત્યા અને મારામારી જેવા બનાવો બની રહ્યા છે. બુટલેગર દ્વારા પોલીસ કોન્સ્ટેબલ ઉપર જ હુમલો કરવામાં આવતા ફરી એકવાર વિસ્તારમાં મારામારીના બનાવો વધ્યા હોય એવી સ્થિતિ જોવા મળી છે. હાલમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામા આવી છે.
હિંમતનગરમાં ચંદ્રગ્રહણ શરૂ:આજે સવારે 10 વાગ્યાથી મંદિરો બંધ થયા; ગ્રહણ પૂર્ણ થયા બાદ સાંજે ખુલશે
હિંમતનગરમાં ચંદ્રગ્રહણના કારણે શહેરના વિવિધ મંદિરોના દ્વાર બંધ કરી દેવામાં આવ્યા છે. આજે સવારે 10 વાગ્યાથી મંદિરો બંધ થયા હતા, જે ગ્રહણ પૂર્ણ થયા બાદ સાંજે ખુલશે. ગઈકાલે પૂનમ નિમિત્તે હોળી પ્રગટાવવામાં આવી હતી અને આવતીકાલે ધુળેટી પર્વની ઉજવણી થશે. મંગળવારે ચંદ્રગ્રહણને પગલે હિંમતનગરના રામનગરમાં આવેલા રામેશ્વર મહાદેવ મંદિર, ટાવર ચોકમાં આવેલા હનુમાનજી મંદિર, ખાડિયા હનુમાનજી મંદિર અને હરસિદ્ધિ માતાજીના મંદિર સહિત અનેક ધાર્મિક સ્થળોના દ્વાર સવારે 10 વાગ્યા પછી બંધ કરી દેવાયા હતા. ચંદ્રગ્રહણનો વેધ સવારે 10:53 વાગ્યાથી શરૂ થયો હતો અને તે સાંજે 7:53 કલાકે પૂર્ણ થશે. વેધ શરૂ થતા પૂર્વે જ હિંમતનગરમાં મંદિરો બંધ કરી દેવામાં આવ્યા હતા.
ચારુતર વિદ્યામંડળ દ્વારા 3 માર્ચના રોજ વિદ્યાનગરનો 81મો સ્થાપના દિવસ ઉત્સાહભેર ઉજવાયો. આ પ્રસંગે શાસ્ત્રી મેદાન ખાતે મુખ્ય સમારોહ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં આદ્યસ્થાપકોની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સમારોહમાં રમા-મનુભાઈ દેસાઈ કોલેજ ઓફ મ્યુઝિક એન્ડ ડાન્સના કલાકારોએ પ્રાર્થના અને 'વિદ્યાનગરી ગીત' રજૂ કર્યું. ત્યારબાદ મહાનુભાવો દ્વારા મંડળના ધ્વજનું આરોહણ કરાયું. માનદ મંત્રી ડૉ. એસ.જી. પટેલે ઉપસ્થિત સૌનું સ્વાગત કર્યું હતું. મોગરી (USA) સ્થિત વિક્રમભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને આચાર્યોને ગૌરવ ચિન્હ તથા ટ્રોફી આપી સન્માનિત કર્યા. વિક્રમભાઈ પટેલે બીવીએમ એન્જિનિયરિંગ કોલેજમાં પોતાના અભ્યાસના સંસ્મરણો તાજા કર્યા અને જણાવ્યું કે તેમની પ્રગતિમાં આ સંસ્થાનો પાયાનો ફાળો રહ્યો છે. કાર્યક્રમના અધ્યક્ષ ભીખુભાઈ પટેલે આદ્યસ્થાપકોને શ્રદ્ધાંજલિ આપી અને વિદ્યાનગરના વિકાસનો પ્રવાહ અવિરત ચાલુ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. આ પ્રસંગે એસપી યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર નિરંજન પટેલ, મંડળના ટ્રસ્ટી હેમંત પટેલ, ઉપપ્રમુખ મનિષ પટેલ, સહમંત્રી મેહુલ પટેલ અને વિશાલ પટેલ સહિત સીવીએમ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. ઈન્દ્રજીત પટેલ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપપ્રમુખ મનિષ પટેલે આભારવિધિ કરી હતી. સમગ્ર આયોજનનું સંચાલન ડૉ. ઉમાબેન શર્મા અને ડૉ. મનિષા રાઠોડે કર્યું હતું.
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના સાગથળા આનંદપુરા ગામે પાણી ભરવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક મહિલા અને ઈક્કો ચાલક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે ખેરાલુ પોલીસ મથકે ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. 'મારી મમ્મી સાથે કેમ ઝઘડો કર્યો' તેમ કહી હુમલો કર્યોસાગથળા આનંદપુરામાં રહેતા કમુબેન જશંવતજી ઠાકોર ગત સાંજે પોતાના કુવા પર ગાયોને પાણી પીવડાવવા ગયા હતા. આ સમયે કૌટુંબિક જેઠાણી કેશાબેન ઠાકોરે બોરમાંથી પાણી કાઢવા બાબતે કમુબેન સાથે તકરાર કરી ગાળાગાળી કરી હતી. આ વિવાદ બાદ કમુબેન ઘરે પરત ફર્યા ત્યારે કેશાબેનના બે પુત્રો હરેશ અને નાગજી ત્યાં ધસી આવ્યા હતા અને 'મારી મમ્મી સાથે કેમ ઝઘડો કર્યો' તેમ કહી હુમલો કર્યો હતો. હરેશે નજીકમાં પડેલી સિમેન્ટની ઈંટ કમુબેનના માથામાં મારી ઈજા પહોંચાડી હતી. કમુબેનને ગડદાપાટુ તેમજ લાકડી વડે માર માર્યોઆ દરમિયાન કેશાબેન અને તેમના દિયર સરદારજી ઠાકોર પણ લાકડી ધોકો લઈને આવી પહોંચ્યા હતા અને કમુબેનને ગડદાપાટુ તેમજ લાકડી વડે માર માર્યો હતો. આ ઝઘડો જોઈ છોડાવવા વચ્ચે પડેલા ઈક્કો ચાલક નિલેશભાઈ ચૌધરી પર પણ નાગજીએ ઈંટ વડે હુમલો કરતા તેમને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ચાર ટાંકા આવ્યા હતા. હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નાસી છૂટ્યા હતા. હુમલામાં ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયાઈજાગ્રસ્ત કમુબેન અને નિલેશભાઈને તાત્કાલિક સારવાર અર્થે ખેરાલુ સરકારી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલમાં ખેરાલુ પોલીસે કમુબેનની ફરિયાદના આધારે હરેશ, નાગજી, કેશાબેન અને સરદારજી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પખવાડિયામાં બીજી વખત રાજકોટ પોલીસને ઊંઘતી રાખી સ્ટેટ મોનીટરીંગ સેલની ટિમ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ કમિશનર કચેરીથી માત્ર 600 મીટરના અંતરે યાગનુંક રોડ પર ચાલતા ડબ્બા ટ્રેડિંગ પર દરોડો કરી સ્ટેટ મોનીટરીંગ સેલ ટિમ દ્વારા સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત રાકેશ પોપટ સહીત 3ની ધરપકડ કરી તેમની પાસેથી કુલ 18.89 લાખનો મુદામાલ કબ્જે કરી ફરાર 6 શખ્સોની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ શહેરમાં ફરી એક વખત SMC ત્રાટકી હતી અને પોલીસ કમિશનર કચેરીથી માત્ર 600 મીટરના અંતરે ચાલતી ડબ્બા ટ્રેડિંગ પર રેડ કરી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ SMC દ્વારા ગઈકાલે યાજ્ઞિક રોડ પર ઇમ્પીરીયલ હોટલ સામે આવેલ માધવ કોમ્પ્લેક્ષમાં દરોડો પાડી ડબ્બા ટ્રેડિંગ કરતા સૌરાષ્ટ્રના પ્રખ્યાત રાકેશ પોપટ, મુકેશ વિરડીયા અને મહેશ પરમારની ધરપકડ કરી પ્રદ્યુમનનગર પોલીસમાં આરોપીઓ વિરુદ્ધ BNS કલમ 316(5), 318(4), 319(2), 238 અને IT એક્ટની કલમ 66, 66(સી), અને 66(ડી) મુજબ ગુનો નોંધી ફરાર 6 શખ્સોની શોધખોળ હાથ ધરી છે. ગઈકાલે સ્ટેટ મોનીટરીંગ સેલની ટિમ ચોક્કસ બાતમી મળી હતી કે રાજકોટ શહેર યાજ્ઞિક રોડ પર રાકેશ ધીરજલાલ પોપટ તથા મીહીર મનોજભાઈ કલ્યાણી બન્ને ભેગા મળી ઇમ્પીરીયલ હોટલની સામે આવેલ માધવ કોંમ્પલેક્ષમા ઓફીસ નંબર 108-109મા ગેરકાયદેસર રીતે શેરની લે વેચ કરી ડબ્બા ટ્રેડીંગ ચલાવે છે અને પોતાના મોબાઈલ ફોનમા વિવીધ એપ્લીકશેનમાં શેર બજારની વધઘટ જોઇ લોકોને શેર બજારમાં વધુ કમાણી કરી આપવાની ટીપ્સ આપી સ્ટોક બજારનુ કોઇપણ પ્રકારના લાયસન્સ વગર શેર બજારની લે-વેચનો ધંધો કરી ગેરકાયદેસર ડબ્બા ટ્રેડીંગ ચલાવે છે. જે હકીકત આધારે રેડ કરતા રાકેશ ધીરજલાલ પોપટ મળી આવ્યો હતો જેને મિહિર કલ્યાણી વિષે પૂછતાં તેનો મિત્ર હોવાનું અને તે બહારગામ હોવાનું જણાવ્યું હતું. આ સિવાય ઓફિસમાંથી મુકેશ મીઠાભાઈ વીરડીયા અને મહેશ રવજીભાઇ પરમાર મળી આવતા તેની ઝડતી લઇ તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસને રાકેશ પોપટના કબ્જામાંથી બે એપ્પલ કંપનીના આઈફોન મળી આવ્યા હતા જેમાં શેર બજારની એપ્લીકેશન ઇન્સ્ટોલ કરેલ હતી. જે મોબાઇલ ફોનનો ઉપયોગ શેર બજાર ડબ્બા ટ્રેડીંગમાં કરતા હતા જેથી બન્ને મોબાઈલ કબ્જે લઇ તેની પાસેથી રોકડ રકમ રૂ.1,72,000 મળી આવ્યા હતા જે કબજે લેવામાં આવ્યા હતા. આરોપીઓની પુછપરછ કરતા પોતે છેલ્લા ચારેક મહિનાથી આ શેર બજાર ડબ્બા ટ્રેડીંગનું કામ કરતા હોવાનું જણાવ્યું હતું અને પોતાની સાથે તેનો મિત્ર મીહીર મનોજભાઇ કલ્યાણી ભાગીદાર હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત ગ્રાહક તરીકે કમલેશ, અશોક, નટુકાકા, જયદીપ હોવાનું જણાવ્યું હતું. ઓફિસમાં રહેલ કોમ્પ્યુટરમાંથી લેતીદેતી અંગે તારીખ 23.02.2026 થી તા.01.03.2026 સુધીની ફાઈલ મળી આવી હતી જેની પ્રિન્ટ કાઢી તપાસ કરતા છેલ્લા અઠવાડીયામા આશરે રૂપીયા 20 કરોડની કીંમતના સોદાઓ કરેલ હોવાનું સામે આવ્યું છે જયારે અગાઉ કરેલ સોદાઓ દર અઠવાડીયે ડીલીટ દેતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપીઓ ગ્રાહક પાસેથી હારજીત રૂપિયાની લેતીદેતી બેન્ક એકાઉન્ટ તેમજ આંગડિયા પેઢી મારફત કરવામાં આવતી હોવાની આરોપીઓએ કબૂલાત આપી છે. જયારે ફરાર આરોપી મિહીર મેટા ટ્રેડર ફાઇવ નામની એપ્લીકેશન મારફતે તેના મોબાઇલમાં શેર તથા સોના ચાંદી અંગેના સોદા લેતો હોવાનું અને અલગ અલગ આંગડીયા પેઢી મારફતે પૈસાની લેતી દેતી કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ મેટા ટ્રેડર ફાઇવ નામની એપ્લીકેશન હીતેન રવિભાઈ ખાચર નામના શખ્સે આપી હોવાનું સામે આવ્યું છે. આરોપી રાકેશ પોપટ વિરુદ્ધ અગાઉ પણ વર્ષ 2012માં ડબ્બા ટ્રેડિંગ અંગે ગુનો નોંધાયેલ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. મુકેશ વીરડીયાની ઝડતી લેતા બે આઇફોન મળી આવ્યા હતા જ. કબ્જે કરી એક કાળા કલરની ટોયોટા કંપનીની હાઇરાઇડર કાર જીજે.03.એનપી.5501 કબ્જે કરવામાં આવી છે. મુકેશ વિરડીયા રાકેશ પોપટ ઘણા સમય પહેલાં પરીચયમાં આવ્યા હતા અને પોતે અગાઉ ચાંદીનુ ઇમીટેશનનુ કામ કરતા જે હાલે ઘણા સમયથી બંધ કરી રાકેશ પોપટની ઓફીસે છેલ્લા સાત વર્ષથી નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે. જયારે મહેશ પરમારના કબ્જામાંથી એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવતા તે કબ્જે કરવામાં આવ્યો હતો અને તે પણ છેલ્લા દોઢ વર્ષથી અહી ઓફિસમાં કામ કરતો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી 5 મોબાઈલ, એક ફોરવ્હિલ કાર, રોકડ રકમ સહીત કુલ 18.89 લાખનો મુદામાલ કબ્જે કરી ફરાર 6 શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
ભાવનગર શહેરમાં લાંબા સમયના વિરામ બાદ શરૂ થયેલી સિટી બસ સેવા અત્યારે શહેરના વિકાસને બદલે રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની છે. બસ સેવાના રૂટ અને તેની પહોંચને લઈને વિરોધ પક્ષે સવાલો ઉઠાવ્યા છે, જ્યારે શાસક પક્ષે તેને આયોજનબદ્ધ પ્રક્રિયા ગણાવી વિપક્ષ પર જનતાને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે, ભાવનગર શહેરમાં ઘણાં વર્ષો બાદ પ્રધાનમંત્રી ઈ-બસ સેવા અંતર્ગત સીટી બસનો પ્રારંભ થયો છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ હસ્તે તથા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની હાજરીમાં સેવાને લીલી ઝંડી આપવામાં આવી હતી પરંતુ શહેરના આંતરિક વિસ્તારોને બદલે ગ્રામ્ય રૂટ પર બસો વધુ દોડાવવામાં આવતા શહેરીજનોમાં રોષ ફેલાયો છે, મહાનગરપાલિકા દ્વારા 17 રૂટ પર સેવા શરૂ કરવાની જાહેરાત છતાં હાલ પ્રથમ તબક્કામાં 50 બસો સાથે માત્ર 7 રૂટ પર સેવા શરૂ થઈ છે, ગંગાજળિયા તળાવથી સિદસર, વાળુકડ, સિહોર, નિષ્કલંક, ભંડારીયા, દેવગણા અને અકવાડા જેવા રૂટ પર બસો ચાલી રહી છે, જે મોટાભાગે ગ્રામ્ય વિસ્તાર આવરી લે છે, શહેરના નાના વિસ્તારો આજદિન સુધી સીટી બસ સેવાથી વંચિત હોવાથી લોકોને મુખ્ય બજારમાં આવવા-જવા મોંઘા રિક્ષા ભાડા ખર્ચવા પડે છે. વિરોધ પક્ષે આક્ષેપ કર્યો છે કે સીટી બસ સેવા ચૂંટણીલક્ષી ઉતાવળમાં શરૂ કરાઈ છે અને આયોજનના અભાવે શહેરી વિસ્તારોને પૂરતો લાભ મળતો નથી, મહાનગરપાલિકાએ એક મહિનામાં વધુ બસો ફાળવી શહેરના તમામ 17 રૂટ પર નિયમિત સેવા શરૂ કરવાની ખાતરી આપી છે, આ અંગે લાલભા ગોહિલએ જણાવ્યું હતું કે, ભાજપના શાસકોએ વર્ષો સુધી જનતાને બસ સેવાથી વંચિત રાખી છે અત્યારે જે બસો શરૂ કરવામાં આવી છે તે માત્ર ચૂંટણીલક્ષી પ્રોજેક્ટ છે.છેવાડાના વિસ્તારોની ઉપેક્ષા વિપક્ષના મતે શહેરના અનેક વિસ્તારો હજુ પણ આ સેવાથી વંચિત છે, જનતા સંપૂર્ણ ટેક્સ ભરે છે પરંતુ તેની સામે પૂરતી સુવિધા મળતી નથી, વિપક્ષે ટકોર કરી હતી કે જો શાસકોને શહેરનો 'રોડ મેપ' તૈયાર કરવામાં સમજણ ન પડતી હોય, તો જનતાના હિત માટે વિરોધ પક્ષ મદદ કરવા પણ તૈયાર છે. વિપક્ષ નેતા જીતુ સોલંકીએ જણાવ્યું હતું કે, શહેરના 50 ટકા રૂટ હજુ બાકી છે તેમ છતાં બસો ગામડાઓ તરફ દોડાવવામાં આવી રહી છે ભાવનગર શહેરની પ્રજાને પ્રથમ હક મળવો જોઈએ તેવો સૂર તેમણે વ્યક્ત કર્યો હતો, આ અંગે સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડીયાએ જણાવ્યું હતું કે, વિપક્ષના આક્ષેપો સામે બચાવ કરતા તેમણે જણાવ્યું કે વિપક્ષે ગેરમાર્ગે દોરવાનું બંધ કરી સેવાની સફળતામાં સહભાગી થવું જોઈએ, અમારો આશય છેવાડાના અને મધ્યમ વર્ગના લોકોને સસ્તી પરિવહન સેવા આપવાનો છે. હાલમાં 50 બસો સાથે જે 7 રૂટ શરૂ કરાયા છે, તેમાં શહેર અને ગ્રામ્ય બંનેનો સમન્વય કરવામાં આવ્યો છે, અને માર્ચ મહિનાના અંત સુધીમાં બાકીના તમામ રૂટો શરૂ કરી દેવામાં આવશે, તેમજ શહેરમાં 100 થી વધુ નવા બસ સ્ટોપ બનાવવાની કામગીરી તેજ ગતિએ ચાલુ છે, આગામી દિવસોમાં શહેરના બાકી રહેલા તમામ એરિયા કવર કરી લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે, ભાવનગરમાં સિટી બસ તો દોડતી થઈ છે, પણ તેની સાથે 'રાજકારણ' પણ પૂરપાટ ઝડપે દોડી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે માર્ચ અંત સુધીમાં શાસક પક્ષ આપેલા વચન મુજબ તમામ રૂટ શરૂ કરી શકે છે કે કેમ...
હિંદુ શક્તિસંમેલન:ગોદરેજ ગાર્ડન સિટીમાં શૌર્ય પ્રદર્શન અને કળશ યાત્રા સાથે એકતાનો શંખનાદ ફૂંકાયો
શહેરના ગોદરેજ ગાર્ડન સિટી ખાતે 1 માર્ચના રોજ 'હિંદુ શક્તિ સંમેલન'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગોદરેજ ગાર્ડન સિટીની વિવિધ સોસાયટીઓમાંથી આશરે 1500 જેટલા નાગરિકો ઉત્સાહભેર ઉમટી પડ્યા હતા, જેનાથી સમગ્ર વિસ્તાર એકતા અને ઉર્જાના રંગે રંગાયો હતો. ભવ્ય કળશ યાત્રા અને ભક્તિમય માહોલ કાર્યક્રમની શરૂઆત સાંજે 4 વાગ્યે રામ ચોકથી છઠ પૂજા મેદાન સુધી યોજાયેલી ભવ્ય કળશ યાત્રાથી થઈ હતી. આ યાત્રામાં માતૃશક્તિ અને સ્થાનિક રહેવાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. કળશ યાત્રા બાદ ગરબાના આયોજને વાતાવરણને પૂર્ણપણે ભક્તિમય બનાવી દીધું હતું. સંતોના આશીર્વચન અને સંગઠનનો મંત્ર મુખ્ય કાર્યક્રમનો પ્રારંભ પૂજ્ય સ્વામી પ્રેમસ્વરૂપ મહારાજની પવિત્ર ઉપસ્થિતિમાં શંખનાદ સાથે થયો હતો. મહારાજે પોતાના આશીર્વચનમાં હિંદુ સમાજને તમામ મતભેદો ભૂલી એકતાબદ્ધ થવા અને બાળકોમાં હિંદુ સંસ્કારોનું સિંચન કરવા પ્રેરણા આપી હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધિકારી નરેશભાઈ સોનીએ સંઘની 100 વર્ષની યાત્રા અને ભવિષ્યના લક્ષ્યાંકો વિશે માહિતી આપી હતી. ઉપરાંત, પ્રેસિડેન્ટ સાયન્સ કૉલેજના માઈક્રોબાયોલોજી વિભાગના HOD ડૉ. આરતીબેન ઠક્કરે ‘કુટુંબ પ્રબોધન’ના મહત્વ વિશે સમજ આપી હતી. શૌર્ય પ્રદર્શન અને સાંસ્કૃતિક રજૂઆતો સંમેલનમાં વિવિધ શારીરિક અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ આકર્ષણનું કેન્દ્ર રહી હતી. જેમાં સામૂહિક હનુમાન ચાલીસા, નવદુર્ગા પ્રસ્તુતિ, બાલ શાખા પ્રદર્શન, પારકોર માર્શલ આર્ટ્સ, કથક, ભરતનાટ્યમ અને તાળી યોગનો સમાવેશ થયો હતો. ખાસ કરીને દુર્ગા વહિની દ્વારા કરવામાં આવેલું તલવારબાજીનું શૌર્ય પ્રદર્શન જોઈ સૌ મંત્રમુગ્ધ થયા હતા. એક કાશ્મીરી હિંદુ ભાઈએ પોતાના જીવનના અનુભવો વહેંચી સૌને રાષ્ટ્રભક્તિ માટે પ્રેરિત કર્યા હતા. સામાજિક જાગૃતિનું પ્રદર્શન અને મહાપ્રસાદ મેદાનમાં ભારતના મહાન ઋષિ-મુનિઓ અને સ્વદેશી, પર્યાવરણ તથા સામાજિક સમરસતા જેવા વિષયો પર પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. સાથોસાથ હિંદુ સંસ્કૃતિના પુસ્તકો અને ગૌ સેવાના ઉત્પાદનોના સ્ટોલ પર પણ લોકોની ભીડ જોવા મળી હતી. કાર્યક્રમના અંતે સ્વયંસેવકો દ્વારા તમામ ઉપસ્થિતોને સાત્વિક ભોજન પીરસવામાં આવ્યું હતું. આ સંમેલન વિકસિત ભારતના સંકલ્પને ગતિ આપવાની દિશામાં એક મજબૂત પગલું સાબિત થશે.
મહેસાણા આર.ટી.ઓ. કચેરીના અધિકારીઓ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન એક લક્ઝરી બસમાં આચરવામાં આવેલી ગેરરીતિ પકડી પાડવામાં આવી છે. રાજસ્થાન પાસિંગની એક લક્ઝરી બસના માલિકે સરકારને ભરવાનો થતો ટેક્સ બચાવવા માટે બસ પર ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે મહેસાણા તાલુકા પોલીસ મથકે બસના માલિક વિરુદ્ધ છેતરપિંડી અને સરકારી દસ્તાવેજોના દુરુપયોગ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. RTO અધિકારીઓએ ટેક્સની વિગતો ન હોવાથી બસને ડિટેઇન કરીગત 25 જાન્યુઆરી 2026ના રોજ મહેસાણા આર.ટી.ઓ.ના સહાયક મોટર વાહન નિરીક્ષક હિતેષ ઈશ્વરભાઈ ગુરુનાણી અને તેમની ટીમ મેવડ ટોલનાકા પાસે વાહન ચેકિંગમાં હતી. આ દરમિયાન મહેસાણાથી અમદાવાદ તરફ જતી એક પીળા કલરની સ્લીપર લક્ઝરી બસને અટકાવવામાં આવી હતી. તપાસ દરમિયાન બસ પર RJ-21-PB-1007 નંબરની પ્લેટ લાગેલી હતી. બસના ચાલક અયુબખાન મુબારકખાન પાસે ટેક્સની વિગતો ન હોવાથી અધિકારીઓએ પેસેન્જરોને અન્ય બસમાં શિફ્ટ કરી આ બસને ડિટેઈન કરી આર.ટી.ઓ. કચેરી ખાતે જમા લીધી હતી. ટેક્સ ભર્યો ન હોવાથી બસ પર અન્ય વાહનનો ખોટો નંબર લગાવી દીધોજોકે આ મામલે ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે રાજસ્થાનની ભીનમાલ ડી.ટી.ઓ. કચેરી તરફથી એક મેઈલ મળ્યો.આ મેઈલમાં જણાવાયું હતું કે જે બસ ડિટેઈન કરવામાં આવી છે તેનો અસલી રજીસ્ટ્રેશન નંબર RJ-46-PA-1527 છે. બસ માલિકે લાંબા સમયથી રાજસ્થાનનો આર.ટી.ઓ. ટેક્સ ભર્યો ન હોવાથી પકડાઈ જવાની બીકે બસ પર અન્ય વાહનનો ખોટો નંબર લગાવી દીધો હતો. બસના ચેસીસ નંબર સાથે તેની નંબર પ્લેટ મેચ થતી નહોતીઆર.ટી.ઓ. કચેરીની આંતરિક તપાસમાં પણ સ્પષ્ટ થયું કે બસના ચેસીસ નંબર સાથે તેની નંબર પ્લેટ મેચ થતી ન હતી. આમ ટેક્સ ચોરી કરવાના ઇરાદે ખોટી નંબર પ્લેટને સાચી તરીકે ઉપયોગ કરી સરકારને આર્થિક નુકસાન પહોંચાડવા બદલ મહેસાણા આર.ટી.ઓ. દ્વારા બસ માલિક અને તપાસમાં ખુલે તે તમામ શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભારતીય રેલવે દ્વારા નાગરિક-કેન્દ્રીત અને પ્રતિભાવશીલ વહીવટને મજબૂત બનાવવા માટે ‘સેવા સંકલ્પ પ્રસ્તાવ’ સ્વીકારવામાં આવ્યો છે. આ પ્રસ્તાવના અસરકારક અમલીકરણ માટે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનલ મેનેજરની કચેરી ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં મુસાફર સેવાઓને વધુ સંવેદનશીલ અને પારદર્શક બનાવવાનો મક્કમ નિર્ધાર કરવામાં આવ્યો હતો. ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં મંથન આ મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજકુમાર મીનાએ કરી હતી. આ તકે એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર કૌશલ કુમાર ચૌબે સહિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં સેવા સંકલ્પ પ્રસ્તાવનું વિધિવત વાંચન કરી તેના ઉદ્દેશ્યો અને કાર્યસંસ્કૃતિમાં અપેક્ષિત હકારાત્મક ફેરફારો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ‘નાગરિક દેવો ભવ’નો મંત્ર DRM ગિરિરાજકુમાર મીનાએ જણાવ્યું હતું કે, રેલવે માત્ર પરિવહનનું સાધન નથી, પરંતુ કરોડો લોકોના જીવન સાથે જોડાયેલી વ્યવસ્થા છે. મુસાફરોને સમયબદ્ધ અને પરિણામલક્ષી સેવા આપવી એ દરેક કર્મચારીની પ્રાથમિક જવાબદારી છે. અધિકારીઓએ ‘નાગરિક દેવો ભવ’ની ભાવના સાથે પારદર્શિતા અને જવાબદારીને વહીવટી કાર્યપ્રણાલીનો મૂળ આધાર બનાવવા પર ભાર મૂક્યો હતો. તમામ એકમોમાં સામૂહિક સંકલ્પ રાજકોટ ડિવિઝનલ હેડક્વાર્ટર ઉપરાંત, ડિવિઝનના તમામ મુખ્ય રેલવે સ્ટેશનો અને એકમોમાં પણ આ કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. અહીં કર્મચારીઓએ સામૂહિક વાંચન દ્વારા જનસેવાને સર્વોચ્ચ અગ્રતા આપવાના શપથ લીધા હતા. આ પહેલ વિકસિત ભારતના રાષ્ટ્રીય સંકલ્પને ગતિ આપવા અને ગુણવત્તાયુક્ત મુસાફર સેવાઓ સુનિશ્ચિત કરવામાં માઈલસ્ટોન સાબિત થશે.
રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઈરાન અને ઇરાક તેમજ દુબઈમાં ફસાયેલા લોકો માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેના નંબર 0281 2471573 અને 0281 2410100 છે. જેમાં 15 પરિવારોના ફોન આવ્યા છે. જે તમામ દુબઈમાં ફસાયા છે. જોકે તેઓ હાલ સુરક્ષિત છે અને હવાઈ ઉડાન શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે. લોકો QR કોડ અને વેબસાઇટ પરથી પોતાની માહિતી મૂકી મદદ માંગી શકે છે. રાજકોટ ડિઝાસ્ટર મામલતદાર મીરાબેન જાનીએ જણાવ્યુ હતુ કે, આ કંટ્રોલ રૂમ 24 કલાક ચાલુ રહેશે. જ્યાં ફોન કરતા લોકોની માહિતી સ્ટેટ કંટ્રોલ રૂમને કરવામાં આવે છે અને તે માહિતી સ્ટેટ દ્વારા મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ ઓફ ઇન્ડિયામાં મોકલવામાં આવે છે. જે માટે એક QR કોડ અને વેબસાઇટ www.meaers.com/request પર પોતાની માહિતી મૂકી મદદ માંગી શકે છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ગલ્ફ દેશોમાં હાલમાં ચાલી યુધ્ધની પરિસ્થિતિ અન્વયે રાજકોટ જિલ્લાની કોઇ વ્યક્તિ ફસાયેલ હોવાનુ ધ્યાને આવે તો ભારત સરકારના Ministry of External Affairs દ્વારા બનાવેલ ક્યુ.આર. કોડ સ્કેન કરાવી જરૂરી માહિતી ભરવાની રહેશે.
મહીસાગરના લુણાવાડામાં રખડતા સાંઢનો ત્રાસ:ધોળી રોડ પર બે સાંઢ બાખડતા અફરાતફરી
મહીસાગર જિલ્લામાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે. ખાસ કરીને લુણાવાડા શહેરમાં રખડતા સાંઢ અને અન્ય પશુઓને કારણે સ્થાનિકો પરેશાન છે. તાજેતરમાં, લુણાવાડા શહેરના ધોળી રોડ વિસ્તારમાં મોડી રાત્રે બે સાંઢ અચાનક જ બાખડ્યા હતા. રસ્તા વચ્ચે જ થયેલી આ લડાઈને કારણે ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાથી આસપાસના રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો અને લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. સાંઢોની લડાઈને કારણે થોડા સમય માટે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવી બંને સાંઢોને અલગ પાડ્યા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે, આવી ઘટનાઓને લઈને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકોએ પાલિકા તંત્ર પાસે રખડતા પશુઓ અંગે કડક પગલાં ભરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી જોખમી ઘટનાઓ ટાળી શકાય.
હોળી ફક્ત રંગોથી રમવાનો દિવસ નથી, પણ પરિવાર સાથે સમય વિતાવવાનો, મજા કરવાનો અને સુંદર યાદો બનાવવાનો પણ દિવસ છે. ભારતમાં હોળીને ધાર્મિક મહત્વ સાથે મોજ-મજા અને ઉત્સવોના તહેવાર તરીકે પણ જોવામાં આવે છે. કૃષ્ણનગરીઓમાં હોળીને ધાર્મિક અને સાંસ્કૃતિક જોડાણની રીતે મનાવવામાં આવે છે તો શહેરોમાં હોળી-ધૂળેટીનો મોર્ડન ટચ જોવા મળે છે. દરેક તહેવારને હોંશે હોશેં ઉજવતા ગુજ્જુઓ આ તહેવારને પણ પોતાની આગવી સ્ટાઈલથી ઉજવે છે. ગુજરાતના શહેરોમાં ધૂળેટીના દિવસે હોળી પાર્ટીઓનો રંગ જામશે. હોળી પાર્ટી માટે દેશ-વિદેશના DJ ગુજરાતના મહેમાન બનશે અને આ પાર્ટીમાં હોળી રમવા માટે રંગરસિયાઓ 50 હજાર સુધી ખર્ચી નાખશે. અહીં પ્રાઇવેટ પૂલ, ઓર્ગેનિક કલર, વોટર ટેન્કર, રેઈન ડાન્સ, કલર શોર્ટસ, વોટર ડ્રમ્સ અને વોટર બલૂન્સ સાથે રંગોની છોળો ઉડશે. તો કેટલીક હાઇફાઇ પાર્ટીમાં તો ગુજ્જુઓ ધૂળેટીમાં બેલી ડાન્સર્સ સાથે ભીંજાશે. તો આવો જાણીએ અમદાવાદ-સુરત-વડોદરાના ટોપ પાર્ટી વેન્યૂ અને પાસની કિંમત વિશે… પિચકારી સ્પ્લેશ 2026 (શુભ ફાર્મ)મકરબા વિસ્તારમાં આવેલા શુભ ફાર્મ ખાતે આયોજિત 'પિચકારી સ્પ્લેશ' શહેરની સૌથી ધમાકેદાર ઇવેન્ટ્સમાંની એક છે. આ પાર્ટી ખાસ કરીને યંગસ્ટર્સમાં લોકપ્રિય છે કારણ કે અહીં ઇન્ટરનેશનલ DJ AJAના તાલ પર ડાન્સ કરવાનો મોકો મળે છે. અહીં માત્ર ઓર્ગેનિક અને હર્બલ રંગોનો જ ઉપયોગ કરવામાં આવે છે, જેથી સ્કિનને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. સ્વિમિંગ પૂલ અને હાઇ-ટેક રેઈન ડાન્સ સિસ્ટમ આ પાર્ટીનું મુખ્ય આકર્ષણ છે. સનબર્ન હોળી (ક્લબ બેબીલોન)જો તમને મ્યુઝિક ફેસ્ટિવલનો શોખ હોય, તો એસ.પી. રિંગ રોડ પર આવેલું ક્લબ બેબીલોન શ્રેષ્ઠ સ્થળ છે. અહીં 'સનબર્ન' બ્રાન્ડ હેઠળ મોટા પાયે હોળી સેલિબ્રેશન થાય છે, જેમાં દેશના જાણીતા DJs ઇલેક્ટ્રોનિક ડાન્સ મ્યુઝિક (EDM) અને બોલિવૂડ રિમિક્સ પીરસે છે. આ જગ્યા તેના પ્રીમિયમ ક્રાઉડ અને શાનદાર ફૂડ કાઉન્ટર્સ માટે જાણીતી છે. અહીં સુરક્ષા અને વ્યવસ્થા ખૂબ જ ચુસ્ત હોય છે, જે તેને ગ્રુપ્સ માટે સુરક્ષિત બનાવે છે. નિયોન હોળી ફેસ્ટ (સ્નેપર ફિલ્મ સિટી)કંઈક અલગ અનુભવ કરવા માંગતા લોકો માટે સ્નેપર ફિલ્મ સિટી ખાતે ‘નિયોન હોળી ફેસ્ટ’નું આયોજન કરવામાં આવે છે. આ પાર્ટી મોટા એર-કન્ડિશન્ડ (AC) ડોમની અંદર યોજાય છે, જેથી તમારે ગરમીની ચિંતા કરવાની રહેતી નથી. અંધારામાં ચમકતા નિયોન રંગો અને સ્પેશિયલ UV લાઈટ્સ હેઠળ ડાન્સ કરવાનો અનુભવ અદ્ભુત હોય છે. આ ઉપરાંત, અહીં લાઈવ ઢોલ અને પંજાબી મ્યુઝિકનો તડકો પણ માણવા મળે છે. બલમ પિચકારી 4.0 (શંકુશ ફાર્મ)ગોતા વિસ્તારમાં આવેલું શંકુશ ફાર્મ ફેમિલી અને મિત્રો સાથે હોળી રમવા માટે જાણીતું છે. આ વર્ષે તેમની 'બલમ પિચકારી' ઈવેન્ટની ચોથી સીઝન (4.0) છે. અહીં હોળીની સાથે કાર્નિવલ જેવો માહોલ હોય છે, જેમાં સેલ્ફી ઝોન, બાળકો માટે ગેમ્સ અને જાદુના પ્રયોગો જેવા આકર્ષણો રાખવામાં આવ્યા છે. ખાણીપીણીના શોખીનો માટે અહીં ગુજરાતી અને પંજાબી વાનગીઓના અનેક સ્ટોલ્સ ઉપલબ્ધ હોય છે. એક્વા હોળી ફેસ્ટ (યશ ફાર્મ રિસોર્ટ)વસ્ત્રાલ બાજુ રહેતા લોકો માટે યશ ફાર્મ રિસોર્ટ ખાતે યોજાતો 'એક્વા હોળી ફેસ્ટ' બેસ્ટ છે. નામ પ્રમાણે જ અહીં પાણીની રમતો પર વધુ ભાર મૂકવામાં આવે છે. મોટા સ્વિમિંગ પૂલની સાથે વોટર સ્લાઈડ્સ અને સતત ચાલતો રેઈન ડાન્સ લોકોને આકર્ષે છે. આ ઇવેન્ટ ખાસ કરીને એવા લોકો માટે છે જેમને પાણીમાં પલળીને હોળી રમવી વધુ ગમે છે. ગ્રાન્ડ હોળી વેવ્સ (સેવાના પાર્ટી પ્લોટ)શેલા વિસ્તારમાં આવેલું આ સ્થળ શહેરના સૌથી લાંબા હોળી સેલિબ્રેશન માટે જાણીતું છે. અહીં ફોમ ડાન્સ (Foam Dance) અને લાઈવ નાસિક ઢોલનું ખાસ આયોજન હોય છે. DJ ઓલી એસી (Olly Esse) જેવા જાણીતા કલાકારો અહીં પર્ફોર્મ કરવાના છે. અહીં બે પ્રકારના પાસ ઉપલબ્ધ હોય છે - એક માત્ર એન્ટ્રી માટે અને બીજો 'ફૂડ પાસ' જેમાં અનલિમિટેડ લંચની સુવિધા હોય છે. હોળી પૂલ પાર્ટી (એરિસ્ટો રિસોર્ટ એન્ડ ક્લબ)ગોતા વિસ્તારમાં એરિસ્ટો રિસોર્ટ ખાતે છેલ્લા 8 વર્ષથી આ પૂલ પાર્ટીનું સફળ આયોજન થઈ રહ્યું છે. જો તમારે મિત્રો સાથે રિસોર્ટ જેવો અનુભવ લેવો હોય તો આ બેસ્ટ છે. અહીં મોટો સ્વિમિંગ પૂલ, બલૂન ફાઈટ (પાણીના ફુગ્ગાની લડાઈ) અને નોન-સ્ટોપ બોલિવૂડ મ્યુઝિક પીરસવામાં આવે છે. આ જગ્યા તેના શિસ્તબદ્ધ અને પ્રીમિયમ ક્રાઉડ માટે જાણીતી છે. હની કી હોળી / વેવ્સ પૂલ પાર્ટી (પામ ગ્રીન્સ ક્લબ)બારેજા પાસે આવેલી આ ક્લબ તેના વિશાળ વેવ પૂલ (કૃત્રિમ મોજા વાળો પૂલ) માટે પ્રખ્યાત છે. અહીં સાદા પાણીને બદલે દરિયા જેવા મોજામાં હોળી રમવાનો આનંદ મળે છે. અહીં લાઈવ સિંગિંગ પર્ફોર્મન્સ અને કિડ્સ ઝોનની પણ સુવિધા હોય છે, જે તેને ફેમિલી માટે ઉત્તમ બનાવે છે. રંગરેવ 2026 (એમ. કે. ફાર્મ હાઉસ)આ પાર્ટી ખાસ કરીને 'બોલિવૂડ x પંજાબી' થીમ પર આધારિત હોય છે. જો તમને ભાંગડા અને હાઈ-એનર્જી પંજાબી મ્યુઝિક ગમતું હોય, તો આ સ્થળ તમારા માટે છે. અહીં મોટા કલર બ્લાસ્ટ અને ફેસ્ટિવલ સ્ટાઈલ સેટઅપ જોવા મળે છે. હોળી ફિયેસ્ટા 2.0 (વૃંદાવન પ્રીમિયમ લોન)બોડકદેવ વિસ્તારમાં આવેલું આ સ્થળ શહેરની મધ્યમાં હોવાથી ખૂબ જ લોકપ્રિય છે. અહીં પરંપરાગત હોળી અને આધુનિક પાર્ટીનું મિશ્રણ જોવા મળે છે. અહીં ઓર્ગેનિક ગુલાલ અને રેઈન ડાન્સની સાથે સ્પેશિયલ VIP લાઉન્જની પણ વ્યવસ્થા હોય છે. હોળી બેશ 2026 (હિલડીપ ફાર્મ)એરપોર્ટ નજીક નારાયણી હાઇટ્સ પાસે આ ઈવેન્ટ યોજાય છે. શહેરના ઘોંઘાટથી દૂર ખુલ્લા ફાર્મમાં હોળી રમવાનો અનુભવ અહીં મળે છે. લાઈવ સિંગિંગ અને પૂલ પાર્ટી અહીંના મુખ્ય આકર્ષણો છે. બ્રજ વાઈબ્સ (ગ્રીન પ્લેસ)જો તમારે મથુરા-વૃંદાવન જેવી પારંપરિક હોળીનો અનુભવ કરવો હોય, તો સિંધુ ભવન રોડ પાસે આવેલા ગ્રીન પ્લેસ ખાતે આ 'ગ્રાન્ડ હોળી કાર્નિવલ' નું આયોજન કરવામાં આવ્યું છે. અહીં ફૂલોની હોળી (Phoolon Ki Holi) અને લાઈવ સાંસ્કૃતિક પર્ફોર્મન્સ મુખ્ય આકર્ષણ છે. આ ફેમિલી અને વડીલો માટે પણ ઉત્તમ સ્થળ છે. ધ હોલી કલ્ચર (મીટ પાર્ટી પ્લોટ)એસ.જી. હાઈવે પર મીટ પાર્ટી પ્લોટ ખાતે આ ઈવેન્ટ યોજાશે, જે તેની યુનિક ડેકોરેશન થીમ માટે જાણીતી છે. અહીં મોટા પાયે કલર બ્લાસ્ટ (Color Blast) અને હાઈ-એનર્જી DJ સેટઅપ જોવા મળશે. ખાસ કરીને કોલેજ જતી યુવા પેઢીમાં આ સ્થળ વધુ પ્રચલિત છે. રંગરસીયા 2026 (ફન્ગ્રિટો)ન્યૂ સાયન્સ સિટી રોડ પર આવેલા ફન્ગ્રિટો ખાતે આ ધમાકેદાર પાર્ટીનું આયોજન છે. અહીં જાણીતા DJ Diva પર્ફોર્મ કરવાના છે. બોલિવૂડ અને EDM મ્યુઝિકના મિશ્રણ સાથે અહીં ડાન્સ ફ્લોર અને સ્વિમિંગ પૂલની સુવિધા પણ છે. ટિકિટ દર 199થી શરૂ થાય છે. ધ રંગ એક્સપિરિયન્સ (ક્લબ O7)શેલા વિસ્તારમાં આવેલી ક્લબ O7 ખાતે બોલિવૂડ એક્ટર અને DJ અલી મર્ચન્ટ (Ali Merchant) લાઈવ પર્ફોર્મન્સ આપશે. આ એક લક્ઝરી હોળી પાર્ટી છે, જ્યાં પ્રીમિયમ રેઈન ડાન્સ સેટઅપ અને સ્પેશિયલ ફૂડ મેનૂ રાખવામાં આવ્યું છે. રંગહોલી (YMCA ઇન્ટરનેશનલ સેન્ટર)એસ.જી. હાઈવે પર આવેલું YMCA સેન્ટર દર વર્ષે તેની ભવ્યતા માટે જાણીતું છે. અહીં સેંકડો નાસિક ઢોલ સાથે રંગોત્સવ મનાવવામાં આવે છે. સેલિબ્રિટી DJs અને સ્પેશિયલ VIP સેક્શન આ પાર્ટીને ખાસ બનાવે છે. આધ્યાત્મિક હોળી (હરેકૃષ્ણ મંદિર ભાડજ)જો તમારે રંગો અને ઘોંઘાટથી દૂર ભક્તિમય વાતાવરણમાં હોળી મનાવવી હોય તો ભાડજ ખાતેનું હરેકૃષ્ણ મંદિર શ્રેષ્ઠ છે. અહીં ઠાકોરજી સાથે હોળી રમવાનો ઉત્સવ, ભજન અને કીર્તનનું આયોજન હોય છે. અહીં કેમિકલવાળા રંગોનો ઉપયોગ થતો નથી.
દાહોદ જિલ્લામાં માસિક સ્વાસ્થ્ય અને સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવા માટે જિલ્લા સ્તરીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેક્ટિવ્સ ફોર ઇન્ટિગ્રેટેડ લાઇવલીહુડ ઇનિશિયેટિવ્સ (CInI) દ્વારા ઇન્ડસ ટાવર્સ લિમિટેડના સહયોગથી અમલમાં મુકાયેલા “નારી સન્માન – સેનિટેશન, હેલ્થ એન્ડ હાઇજીન પ્રોગ્રામ” અંતર્ગત દાહોદના અવંતિકા રિસોર્ટ ખાતે આ વર્કશોપ યોજાયો હતો. જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધિકારીઓ અને શિક્ષણક્ષેત્રના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. વર્કશોપમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર, એડિશનલ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર, રીપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ ઓફિસર (RCHO) – દાહોદ, દાહોદ અને લીમખેડાના તાલુકા હેલ્થ ઓફિસર, જિલ્લા સંકુલ સંયોજકો અને CInI ગુજરાતના ટીમ લીડર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રજ્વલન અને સ્વાગત સંબોધનથી થયો હતો. ત્યારબાદ, પ્રોગ્રામના હેતુઓ, અત્યાર સુધીના કાર્યો અને ભવિષ્યની યોજનાઓ અંગે વિગતવાર પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી. શાળાઓના શિક્ષકોએ માસિક સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવાના પ્રયાસો, માસિક ઉત્પાદનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાના પગલાં અને ટકાઉ વિકલ્પોને પ્રોત્સાહન આપવા અંગેના તેમના અનુભવો રજૂ કર્યા હતા. વર્કશોપ દરમિયાન, શાળાઓમાં માસિક સ્વચ્છતા વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવવા માટેના પડકારો, સંભવિત ઉકેલો અને ભવિષ્યની કાર્યયોજનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગના અધિકારીઓએ કિશોરી આરોગ્ય કેમ્પના અનુભવો રજૂ કર્યા હતા અને કિશોરીઓમાં સમયસર આરોગ્ય સેવાઓ મેળવવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. શિક્ષણ અને આરોગ્ય વિભાગ વચ્ચે સઘન સમન્વય દ્વારા કિશોર-કિશોરીઓમાં આરોગ્યપ્રદ આચરણ વિકસાવવા માટે સંકલિત પ્રયાસોની જરૂરિયાત પણ વ્યક્ત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન માસિક સ્વચ્છતા અંગે તૈયાર કરાયેલ શૈક્ષણિક કોમિક બુક અને FAQ બુકલેટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શાળાઓમાં કાર્યક્રમના અસરકારક અમલીકરણ માટે પ્રોગ્રામ કિટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આભારવિધિ સાથે વર્કશોપનું સમાપન થયું હતું, જેમાં દાહોદ જિલ્લામાં માસિક સ્વચ્છતા અંગે જાગૃતિ અને સકારાત્મક વ્યવહારને મજબૂત બનાવવાના સંકલ્પ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં કિન્નર સમાજના ચેતના દે અને સોનલ દેએ ચાર મહિના પહેલા એક પુત્ર દત્તક લીધો હતો. હોળી પર્વ નિમિત્તે દત્તક પુત્ર રુદ્રરાજનો 'જેબ' પ્રસંગ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગ હિંમતનગરના કિન્નર અખાડા ખાતે યોજાયો હતો, જેમાં પરિવારજનો અને ભક્તોએ ભેટ સોગાદો આપી હતી. સોનલ દેએ માતા બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આથી, કિન્નર અખાડાના ગુરુજી ચેતના દેના ભાઈના પુત્રને ચાર મહિના પહેલા દત્તક લેવામાં આવ્યો હતો. દત્તક લીધેલા પુત્રનું નામ રુદ્રરાજ રાખવામાં આવ્યું છે. સોનલ દે માતા તરીકે રુદ્રરાજનું પાલનપોષણ કરી રહ્યા છે, જ્યારે ગુરુજી ચેતના દે પિતા તરીકેની ફરજ નિભાવી રહ્યા છે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર એક રીક્ષા દોડતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના ભરૂચથી વડોદરા તરફના નવા બનેલા એક્સપ્રેસવે પર બની હતી. એક્સપ્રેસવે પર રીક્ષા જેવા ધીમા વાહનોને પ્રવેશ પ્રતિબંધિત છે, કારણ કે તે હાઈસ્પીડ અને નિયંત્રિત માર્ગ છે. આ ઘટનાથી માર્ગ સુરક્ષા અને ટોલ સંચાલન પર સવાલો ઉભા થયા છે. એક્સપ્રેસવે પર માત્ર નિર્ધારિત શ્રેણીના વાહનોને જ પ્રવેશ મળે છે. રીક્ષા જેવા થ્રી-વ્હીલર વાહનોને સામાન્ય રીતે મંજૂરી નથી. આ સ્થિતિમાં રીક્ષા એક્સપ્રેસવે પર કેવી રીતે પ્રવેશી તે એક મોટો પ્રશ્ન છે. ટોલ પ્લાઝા અથવા એન્ટ્રી પોઈન્ટ પર સુરક્ષા તપાસમાં બેદરકારી રહી હોવાની આશંકા છે. જો આવા વાહનથી કોઈ અકસ્માત થાય તો તેની જવાબદારી કોની રહેશે તે પણ એક ચિંતાનો વિષય છે. નિયમો અનુસાર, પ્રતિબંધિત વાહન એક્સપ્રેસવે પર પ્રવેશે તો પ્રાથમિક જવાબદારી વાહનચાલકની હોય છે. જોકે, ટોલ સંચાલન અને માર્ગ સુરક્ષા માટે જવાબદાર એજન્સીની ભૂમિકા પણ તપાસ હેઠળ આવે છે. જો એન્ટ્રી પોઈન્ટ પર સુરક્ષા વ્યવસ્થામાં ખામી સાબિત થશે, તો સંચાલન એજન્સી સામે પણ કાર્યવાહી થઈ શકે છે. આ વીડિયો વાયરલ થયા બાદ સંબંધિત તંત્ર દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.
ફાગણ સુદ પૂનમના બીજા દિવસે યાત્રાધામ શામળાજી ખાતે રંગોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર અવસરે ભગવાન શામળિયાને ચાંદીની પિચકારી વડે વિવિધ રંગો છાંટીને રંગોત્સવ મનાવાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાયા હતા. ચંદ્રગ્રહણના કારણે મંદિર વહેલી સવારે પાંચ વાગ્યે ખોલવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ શામળિયાના દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા. દેવ ગદાદર શામળિયાને સોનાના આભૂષણોથી શણગારવામાં આવ્યા હતા. રંગોત્સવ નિમિત્તે મંદિરના પૂજારીઓ દ્વારા ચાંદીની પિચકારી વડે ભગવાન શામળિયાને રંગ છાંટવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ભક્તો પર પણ રંગ છાંટવામાં આવ્યા હતા અને ભક્તોએ પણ એકબીજાને કલર લગાવીને રંગોત્સવની ઉજવણી કરી હતી. વહેલી સવારથી જ ભક્તો મંદિરના ગર્ભગૃહમાં ભગવાનની ઝાંખી કરવા માટે ઊભા હતા. મંદિર પરિસરની બહાર પણ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. આમ, યાત્રાધામ શામળાજીમાં ભારે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક રંગોત્સવ ઉજવાયો હતો.
હિંમતનગર સમરસ હોસ્ટેલ પાછળ આગ:ફાયર વિભાગે પહોંચી પાણીનો મારો ચલાવી બુઝાવી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી વિજાપુર રોડ પર આવેલી સમરસ હોસ્ટેલના પાછળના ભાગે સોમવારે રાત્રે આગ લાગી હતી. સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આગ ઝાડી-ઝાંખરામાં લાગી હતી. હિંમતનગર ફાયર વિભાગના ઇન્ચાર્જ ફાયરમેન મયંક પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, સોમવારે રાત્રે હોલિકા દહન ઠેર ઠેર કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન રાત્રે 10 વાગ્યાની આસપાસ સમરસ હોસ્ટેલ પાછળ ઝાડી-ઝાંખરામાં આગ લાગી હતી. કોલ મળતા જ ફાયર ટીમે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી.
વડોદરા શહેરમાં રાત્રિના સમયે કેટલાક માર્ગો ઉપર બાઈકર્સ બેફામ બની જાય છે. સામાન્ય વાહનચાલકોને જીવનું જોખમ ઉભું કરી આ બાઈકર્સ વડોદરાના શહેરના રોડ જાણે રેસનું મેદાન હોય તે રીતે બાઈક હંકારી અકસ્માત સર્જે છે. ત્યારે હાલમાં વડોદરાના કલાલીથી દરબાર ચોકડી સુધીના માર્ગ ઉપર એક બાઈકચાલકે બેફામ બાઈક હંકારી અકસ્માત સર્જ્યો હોવાનો વીડિયો વાઇરલ થયો છે. આ અંગે એસીપી પ્રણવ કટારીયાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, આ બાબત ધ્યાન ઉપર આવી નથી. તપાસ કરીશું. વાઇરલ વીડિયોમાં જોવા મળે છે કે, આ એક સ્પોર્ટ બાઈકનો ચાલક એક સ્થળેથી બાઈક ચાલુ કરે છે અને ત્યારબાદ તેની હાઈસ્પીડ બાઇકને રેસ આપી થોડી જ સેકંડોમાં તેને ફુલ સ્પીડમાં મુખ્યમાર્ગો ઉપર ચલાવે છે. બાઈકચાલક યુવાન પોતાના મોબાઈલમાં વીડિયો પણ ઉતારી રહ્યો છે, જેમાં તેના બાઈકની સ્પીડ પણ રેકોર્ડ થઇ રહી છે. બાઈક શરૂ કર્યાની અઢી જ મિનિટમાં અકસ્માત વીડિયોમાં જોઈ શકાય છે કે, બાઈક ઉપર સવાર યુવાન એક અવાવરી જગ્યાએથી બાઈક શરૂ કરે છે અને ધીમી સ્પીડે કાચો રસ્તો કાપે છે. બાઈક જેવી મુખ્ય માર્ગ ઉપર આવે છે, તેની સ્પીડ વધવા માંડે છે. બાઈકચાલક ન તો સ્પીડ બ્રેકર જુએ કે ન તો રોડ ઉપરનો ખાડો. આમ રાત્રિનો સમય હોવાથી માર્ગ ઉપર વાહનોની અવરજવર ઓછી હતી, એટલે બાઈકચાલકે બેફામ ચલાવવાની શરૂઆત કરી. અંદાજે 100થી 120ની સ્પીડે બાઈક હંકારતો હોવાનું જણાય છે. બાઈક શરૂ કર્યાની અઢી જ મિનિટમાં એક એક્ટિવા સવારને અડફેટે લઈ અકસ્માત સર્જે છે. મહિલાએ બરોબરનો ખખડાવ્યોઅકસ્માત થયા બાદ અન્ય વાહનચાલકોએ આ શખસને ઘેરી વળ્યાં હતા. વાહનચાલકો પણ જાણતા હતા કે, તે બેફામ રીતે ગાડી હંકારી રહ્યો હતો. અકસ્માત બાદ આ યુવાન પોતાના મિત્રોને ફોન કરે છે અને જણાવે છે કે, દરબાર ચોકડી નજીક હું પડ્યો છું. વાગ્યું છે તમે જલ્દી આવો. જો કે, ત્યાં ઉપસ્થિત એક મહિલા પણ બોલતા નજરે પડે છે કે, ફોટા પાડી લો આનો, આવા લોકોના લીધે આપણા છોકરાઓને પણ વાહન લઈને મોકલતા બીક લાગે છે. પોલીસ આવા બાઇકર્સને ક્યારે રોકશે?વડોદરા શહેરમાં રાત્રિના સમયે અનેક માર્ગો ઉપર બાઇકર્સનો આતંક જોવા મળે છે. આ બાઈકર્સ પોતાની જ મોજ મસ્તીમાં ફૂલ સ્પીડમાં બાઈક હંકારી અન્ય વાહનચાલકોને જીવ પણ જોખમમાં મૂકે છે. છાશવારે અકસ્માતોમાં અનેક લોકોને કાયમી ખોડખાંપણ રહી જાય છે, અથવા તો કેટલાકે જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે પોલીસ વિભાગ આવા બાઈકર્સ ઉપર ક્યારે રોક લગાવશે?
હિંમતનગરમાં પોલીસની ઓળખ આપી રાહદારીનું અપહરણ:બે શખ્સોએ મોબાઈલ અને રોકડ લૂંટ્યા, પોલીસે ઝડપ્યા
હિંમતનગરમાં પોલીસની ઓળખ આપી રાહદારીનું અપહરણ કરી લૂંટ ચલાવનાર બે શખ્સોને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. આ ઘટના 1 માર્ચના રોજ સાંજના સમયે ટાવર ચોક વિસ્તારમાં બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ઓડા ગામના અને હાલ હિંમતનગરના નવા ખેડ તસિયા રોડ પર રહેતા અક્ષય કાંતિલાલ ખરાડી હોળીની ખરીદી કરવા ટાવર ચોક આવ્યા હતા. સાંજે 4 વાગ્યાના સુમારે નંબર વગરની બાઈક પર આવેલા બે શખ્સોએ પોતાને પોલીસ તરીકે ઓળખાવી અક્ષય પર બાઈક ચોરીનો આરોપ મૂક્યો હતો. ત્યારબાદ, આ શખ્સોએ અક્ષયને પોતાની બાઈક પર વચ્ચે બેસાડી અપહરણ કર્યું હતું અને તેને હિંમતનગરના મહેતાપુરા હાથમતી નદીના ઢાળમાં લઈ ગયા હતા. ત્યાં તેમણે અક્ષયને લાફા મારીને તેની પાસેથી મોબાઈલ ફોન અને ખિસ્સામાંથી રોકડા રૂ. 3000 બળજબરીપૂર્વક પડાવી લીધા હતા. અક્ષય ખરાડીએ આ અંગે હિંમતનગર બી ડિવિઝન પોલીસને જાણ કરતા, ડી સ્ટાફે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. સરકારના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસતા, મોટરસાઈકલ પર અક્ષયને લઈ જનાર બંને શખ્સોની ઓળખ થઈ હતી. પોલીસે ખાનગી બાતમીના આધારે પ્રવિણભાઈ ઉર્ફે પુસીયો અશોકભાઈ ભાટ (રહે. જૂની સિવિલ સામે, ભાટવાસ, હિંમતનગર) અને દીપકકુમાર હસમુખભાઈ ભાટ (રહે. ભોલેશ્વર પ્રાથમિક શાળા સામે, ભાટવાસ, હિંમતનગર) ને પાંચબત્તી વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા. પોલીસે લૂંટમાં ગયેલો મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલી બાઈક પણ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એ.બી. ચૌધરીએ જણાવ્યું હતું કે, મુખ્ય આરોપી પ્રવિણભાઈ ઉર્ફે પુસીયો અશોકભાઈ ભાટ વિરુદ્ધ બી ડિવિઝનમાં જુગાર, વિદેશી દારૂ, લૂંટ અને મારામારી સહિતના સાત ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત, એ ડિવિઝનમાં બે અને અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલો છે. અગાઉ તેને પાસા હેઠળ અમરેલી જેલમાં પણ મોકલવામાં આવ્યો હતો.
લીંબાળી ડેમનો એક દરવાજો 0.30 મીટર ખોલાયો:ઘેલો નદીમાં પાણી છોડાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા
ગઢડા તાલુકાની લીંબાળી સિંચાઈ યોજના ડેમનો એક દરવાજો 0.30 મીટર ખોલવામાં આવ્યો છે. ઘેલો નદીમાં પાણી છોડવાની મંજૂરી મળ્યા બાદ આ નિર્ણય લેવાયો છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા બોટાદ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ગામોમાં ગઢડા, અડતાળા, માંડવધાર, રામપરા, કેરાળા, પીપળ અને તતાણાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ભાવનગર જિલ્લાના દરેડ, મેલાણા, લોલીયાણા, હળમતીયા, પચછેગામ, ખેતાટીબી અને વલ્લભીપુર ગામોને પણ સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપવામાં આવી છે.
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાંકિયા ગામેથી એક અત્યંત કરુણ સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી ગંભીર શારીરિક અને માનસિક બીમારીઓ સામે ઝઝૂમી રહેલા એક વૃદ્ધ દંપતીએ બીમારીની પીડાથી કંટાળીને ઝેરી ટીકડા ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર ગ્રામ્ય પંથકમાં ભારે ગમગીની અને અરેરાટી વ્યાપી ગઈ છે. ધ્રોલ પોલીસના જણાવ્યા મુજબ, દંપતી લાંબા સમયથી બીમાર હતું અને તેમની દવા પણ ચાલતી હતી. બીમારીથી કંટાળીને જ તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ રહ્યું છે. શું છે સમગ્ર ઘટના? વાંકિયા ગામમાં રહેતા 70 વર્ષીય દામજીભાઈ મૂળજીભાઈ ભીમાણી અને તેમના પત્ની 68 વર્ષીય મનુબેન દામજીભાઈ ભીમાણી ઘણા સમયથી બીમાર રહેતા હતા. શારીરિક અને માનસિક વ્યાધિઓના કારણે તેઓ સતત પીડામાં હતા. ગત 2 માર્ચના રોજ, બીમારીની અસહ્ય યાતનાઓથી મુક્તિ મેળવવા માટે આ દંપતીએ પોતાના ઘરે ઘઉંમાં રાખવાના ઝેરી ટીકડા ગળી લીધા હતા. ઝેરની અસર થતા જ પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર અર્થે ધ્રોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હતું અને ફરજ પરના તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. પરિવારની કરુણ સ્થિતિ પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો વધુ હૃદયસ્પર્શી છે. મૃતક દંપતીના પુત્ર મગનભાઈ અને તેમની પુત્રવધૂ બંને મૂકબધિર (બોલી કે સાંભળી શકતા નથી) છે. વૃદ્ધ દંપતીએ અગાઉ પણ જીવન ટૂંકાવવા માટે નિષ્ફળ પ્રયાસો કર્યા હતા. દામજીભાઈએ એકવાર ચાલુ રિક્ષામાંથી કૂદકો માર્યો હતો, જ્યારે મનુબેને પણ આપઘાતનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે સમયે તેઓ બચી ગયા હતા. પોલીસ કાર્યવાહી આ બનાવ અંગે મૃતકના પૌત્ર મયંકભાઈ મગનભાઈ ભીમાણીએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ધ્રોલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.કે. દલસાણીયા હોસ્પિટલ દોડી ગયા હતા. પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરી હતી અને પૌત્રનું નિવેદન નોંધી અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે.
વર્કપરમિટ વિઝા ન અપાવનાર એજન્ટના આગોતરા જામીન નામંજૂર:પાટણના યુવાન પાસેથી ₹16 લાખ પડાવ્યાનો કેસ
પાટણ: યુ.કે.ના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને પાટણના એક વિદ્યાર્થી પાસેથી ₹16 લાખ પડાવી લેવાના કેસમાં નડિયાદના વિઝા એજન્ટ સંદીપ નવીનભાઈ પરીખની આગોતરા જામીન અરજી પાટણની સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. સેશન્સ કોર્ટના જજ પ્રશાંત શેઠે આ અરજી નામંજૂર કરી હતી.આ કેસમાં પાટણના આદર્શ હાઈસ્કૂલ રોડ પર રત્નપુરી ફ્લેટમાં રહેતા 27 વર્ષીય વિદ્યાર્થી જયેશ ચૌધરીએ ફરિયાદ નોંધાવી હતી. જયેશ પાસેથી 7 જુલાઈ 2024 થી 23 માર્ચ 2025 દરમિયાન યુ.કે.ના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહીને સંદીપ પરીખ અને અમદાવાદના અભિષેક નામના વ્યક્તિએ ₹16 લાખ લીધા હતા.વિઝા ન અપાવતા અને પૈસા પરત ન કરતા, જયેશ ચૌધરીએ 23 જાન્યુઆરી 2026 ના રોજ પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં પોતાની ધરપકડની સંભાવના હોવાથી આરોપી સંદીપ પરીખે આગોતરા જામીન માટે અરજી કરી હતી.પાટણ કોર્ટમાં સુનાવણી દરમિયાન, જજે બંને પક્ષોની દલીલો સાંભળી હતી. કોર્ટે અવલોકન કર્યું કે આ કેસમાં આરોપીની કસ્ટોડિયલ પૂછપરછની પોલીસને જરૂરિયાત છે. જો આવા ગુનામાં ઊંડાણપૂર્વક તપાસ થવા દેવામાં ન આવે તો સમગ્ર ટ્રાયલ નિષ્ફળ જઈ શકે છે અને આવા ગુનેગારોને પ્રોત્સાહન મળી શકે છે.કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, આવા સંજોગોમાં જો આરોપીની ધરપકડ પર અત્યારથી રોક લગાવી દેવામાં આવે તો ન્યાયનો હેતુ સિદ્ધ ન થાય. આ કેસમાં સરકારી વકીલ જે.જે. બારોટે રાજ્ય વતી રજૂઆતો કરી હતી.
સુરતમાં રાત્રિના સમયે બે કારખાનાઓમાં આગની ઘટના સામે આવી છે. ભટાર રોડ ખાતે એમ્બ્રોઈડરી અને વેડરોડ ખાતે આવેલા લુમ્સના કારખાનામાં આગ ફાટી નીકળેલી હતી. જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ નો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને કલાકોની જેમ જ બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. આગના પહેલા બનાવમાં, ભટાર અલથાણ રોડ પર એક મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા રુદ્રાક્ષ ફેશન નામના એમ્બ્રોઈડરીના કારખાનામાં રાત્રે આગ ફાટી નીકળે હતી. જેના પગલે ચારથી વધુ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. જોકે આગના પગલે કારખાના ની અંદર રહેલી મશીનરીઓ અને કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી. આગના અન્ય એક બનાવમાં, વેડ રોડ ખાતે હરિઓમ મિલ ની પાછળ આવેલા એક લુમ્સ ના કારખાનામાં પહેલા માળે આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા પાંચ ફાઈટ સ્ટેશનની 10 થી વધુ ગાડીઓ ઘટના સ્થળ જોડી ગઈ હતી. એક કલાકની ભારે બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી. પહેલા માળે આગ હોવાથી ફાયરના જવાનોને આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આગ ના પગલે મશીનરીઓ અને કાપડ નો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, રાત્રે એમ્બ્રોઈડરી અને લૂમ્સના કારખાના માં લાગેલી આગની ઘટનાઓ નું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. જોકે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતાઓ હાલ સેવવામાં આવી રહી છે. જોકે આ બંને અગ્નિ ઘટનાઓ રાત્રે બની હોવાથી કારખાનામાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે.
મહાદેવપુરા (ભાથીખત્રી) ગામે મહિલા ખેતરના કૂવામાં પડી:હિંમતનગર ફાયર વિભાગે જીવિત બહાર કાઢી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના મહાદેવપુરા (ભાથીખત્રી) ગામે આજે સવારે એક 32 વર્ષીય મહિલા ખેતરના કૂવામાં પડી હતી. સ્થાનિકો દ્વારા જાણ કરાતા હિંમતનગર ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી મહિલાને જીવિત બહાર કાઢી હતી. મકવાણા કોમલબેન સતીષકુમાર (ઉંમર આશરે 32 વર્ષ) નામના મહિલા મંગળવારે સવારે પાણીવાળા કૂવામાં પડ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, મહિલા માનસિક અસંતુલનના કારણે કૂવામાં પડ્યા હતા. ઘટના બનતાની સાથે જ ગામના બે તરવૈયા તાત્કાલિક કૂવામાં ઉતર્યા હતા અને મહિલાને પાણીમાંથી બહાર કાઢી કૂવાના કિનારે બેસાડી હતી. ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરાતા, ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ટીમે સમયસર કાર્યવાહી કરીને મહિલાને કૂવામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. આ ઘટનાને પગલે 108 એમ્બ્યુલન્સની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી તબીબી સહાય પૂરી પાડી હતી.
સુરતના લિંબાયત વિસ્તારમાં 14 વર્ષીય તરુણીને મહારાષ્ટ્રના સોલાપુરમાં વેચી દેવાના ચકચારી કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. છેલ્લા પાંચ મહિનાથી પોલીસને હંફાવતી મુખ્ય સૂત્રધાર ફરજાના ઉર્ફે ફજ્જો રફીક શાહ આખરે પોલીસના સકંજામાં આવી ગઈ છે. લિંબાયત પોલીસે બાતમીના આધારે પાનોલી ખાતે દરોડા પાડી ફરજાના અને તેને આશરો આપનાર તેના દિયર આરીફ યુનુશ શાહની ધરપકડ કરી છે. કેટરિંગના કામના બહાને લઈ જઈ સોદો કર્યોઆ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, લિંબાયતની વસાહતમાં રહેતી 14 વર્ષની સગીરાને તેની પડોશમાં રહેતી નૂરી શેખ અને ફરજાનાએ લાલચ આપી હતી. ગત વર્ષે આ બંને મહિલાઓ સગીરાને 'કેટરિંગનું કામ આવ્યું છે' તેમ કહી લસકાણા લઈ ગઈ હતી. જોકે, ત્યાં કામને બદલે સગીરાનો સોદો કરવામાં આવ્યો હતો. આરોપીઓએ સગીરાને સોયેબ નામના શખ્સને 50 હજાર રૂપિયામાં વેચી દીધી હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો હતો. સોલાપુરમાં હિન્દુ યુવક સાથે લગ્ન કરાવી વેચી દીધીલસકાણામાં સોયેબ નામના શખ્સે સગીરા પર બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સગીરા તાબે ન થતા સોયેબે પોતાના રૂપિયા પરત માંગી સગીરાને રવાના કરી હતી. ત્યારબાદ નૂરી અને ફરજાનાએ બીજો ગ્રાહક શોધ્યો હતો. સગીરાને મહારાષ્ટ્રના સોલાપુરમાં એક હિન્દુ યુવક સાથે 2 લાખ રૂપિયામાં પરણાવી દેવામાં આવી હતી. અહીં સગીરા પર સતત ત્રણ મહિના સુધી અત્યાચાર અને યૌનશોષણ ગુજારવામાં આવ્યું હોવાની હકીકત સામે આવી છે. યુવકની બહેને જ સગીરાની વ્હારે આવી ભાંડો ફોડ્યોસોલાપુરમાં સગીરા સાથે થઈ રહેલા અન્યાયને જોઈ તે યુવકની બહેનનું હૃદય દ્રવી ઉઠ્યું હતું. તેણે માનવતા દાખવી સગીરાને પોતાના ફોનથી તેની માતા સાથે વાત કરાવી આપી હતી. માતા સાથે વાત થતા જ ખરીદનાર યુવક ગભરાઈ ગયો હતો અને તેણે સગીરાને સુરત પરત મોકલી દીધી હતી. સુરત આવ્યા બાદ સગીરાએ પોતાની આપવીતી જણાવતા સમગ્ર માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ થયો હતો અને 25મી નવેમ્બરે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. દિયર આરીફ શાહની સંડોવણી અને ધરપકડઆ કેસમાં અગાઉ નૂરી શેખ અને તેના પતિ વસીમ શેખની ધરપકડ થઈ ચૂકી હતી, પરંતુ ફરજાના ફરાર થઈ ગઈ હતી. તપાસમાં બહાર આવ્યું કે ફરજાનાને છુપાવવામાં તેના દિયર આરીફ યુનુશ શાહ (રહે. પાનોલી) એ મહત્વની ભૂમિકા ભજવી હતી. આરીફની પણ આ ગુનામાં સંડોવણી હોવાનું જણાતા પોલીસે તેની પણ ધરપકડ કરી છે. લિંબાયત પોલીસના સબ ઈન્સ્પેક્ટર કે.એચ. ચૌધરી હાલ આ નેટવર્કના અન્ય તાર શોધવા તપાસ કરી રહ્યા છે. શહેરમાં ચકચાર: હ્યુમન ટ્રાફિકિંગ નેટવર્કની તપાસ તેજસગીરાને મંદિરમાં લગ્ન કરાવવાનું નાટક કરી વારંવાર વેચવાના આ કિસ્સાએ સુરત પોલીસને પણ ચોંકાવી દીધી છે. લિંબાયત પી.આઈ. એન.કે. કામળિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, શું આ ટોળકીએ અન્ય કોઈ સગીરાઓ કે યુવતીઓને પણ આ રીતે વેચી છે? પકડાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે, જેમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.
જવાબદારીથી છટકી રહી છે સરકાર: ખામેનેઈના મોત અંગે મોદી સરકારના મૌન પર સોનિયા ગાંધીનો પ્રહાર
(Image - IANS) Sonia Gandhi on Iran Crisis: કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈની ટાર્ગેટેડ હત્યાના મામલે મોદી સરકારની ચુપકીદી સામે આકરા પ્રહારો કર્યા છે. એક અખબારમાં લખેલા લેખમાં સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, સરકારનું આ મૌન કોઈ તટસ્થતા નથી, પરંતુ જવાબદારીમાંથી પીછેહઠ છે.
રાજ્યમાં વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. આ મિશ્ર વાતાવરણની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે. નવસારી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં વાયરલ ફિવર, શરદી અને ઉધરસના કેસોમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. છેલ્લા 30 દિવસમાં અંદાજે 999 દર્દીઓ શરદી-તાવની ફરિયાદ સાથે OPDમાં આવ્યા છે. આમાંથી 49 દર્દીઓની સ્થિતિ ગંભીર જણાતા તેમને હોસ્પિટલના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. વાતાવરણમાં આવતા અચાનક બદલાવને કારણે લોકોની રોગપ્રતિકારક શક્તિ (Immunity) પર વિપરીત અસર પડે છે. ખાસ કરીને વાયરલ ફિવર અને એલર્જીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે, હોસ્પિટલ તંત્ર આ સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. દર્દીઓને ત્વરિત સારવાર મળી રહે તે માટે પૂરતા પ્રમાણમાં ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ અને સ્પેશિયલ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્પિટલ દ્વારા ખાસ કરીને હાઈ-રિસ્ક ગ્રુપના દર્દીઓ માટે કેટલીક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. સગર્ભા મહિલાઓ અને બાળકોએ બદલાતા હવામાનમાં બહારનું ખાવાનું ટાળવું જોઈએ અને ગરમ પાણી પીવું જોઈએ. વૃદ્ધો અને ડાયાબિટીસ, હાઈપરટેન્શન કે અસ્થમા (COPD) જેવી બીમારીઓ ધરાવતા દર્દીઓએ વહેલી સવારની ઠંડી હવાથી બચવું અનિવાર્ય છે. જેમને શરદી-ઉધરસ હોય તેમણે અન્યને ચેપ ન લાગે તે માટે માસ્ક ફરજિયાત પહેરવું જોઈએ અને ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. પૂરતી ઊંઘ લેવી અને પ્રદૂષણ કે ધૂળવાળા વિસ્તારોથી દૂર રહેવું પણ સ્વાસ્થ્ય માટે હિતાવહ છે. ડૉક્ટરોની સલાહ મુજબ, જો શ્વાસ લેવામાં તકલીફ જણાય, લાંબો સમય તાવ રહે અથવા વધુ પડતી નબળાઈ લાગે, તો ઘરેલુ ઉપચાર કરવાને બદલે તાત્કાલિક નજીકની હોસ્પિટલનો સંપર્ક કરવો. જે દર્દીઓની નિયમિત દવા ચાલતી હોય તેમણે દવાઓમાં જરા પણ ચૂક ન કરવી જોઈએ.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરેન્દ્રનગરના દુધરેજ ધામ સ્થિત શ્રી વડવાળા મંદિર ખાતે આયોજિત 'હોળી મહોત્સવ'માં સહભાગી થયા હતા. આ પ્રસંગે તેમણે ગૌ-હત્યારાઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ પર ભાર મૂક્યો હતો અને યાત્રાધામના વિકાસ માટે વધારાના ભંડોળની જાહેરાત કરી હતી. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગૌ-હત્યા કરનારા તત્વો પ્રત્યે અત્યંત કઠોર છે. સરકારના મક્કમ નિર્ધાર અને નક્કર કામગીરીના કારણે છેલ્લા એક વર્ષમાં 18થી વધુ ગૌ-હત્યારાઓને 7 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા ફટકારવામાં આવી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં ગૌ-હત્યા વિરોધી કડક કાયદો લાવીને ગૌભક્તોની લાગણીનું સન્માન કરાયું હોવાનું પણ ઉમેર્યું હતું. દુધરેજ યાત્રાધામના વિકાસ અંગે મહત્ત્વની જાહેરાત કરતા સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દુધરેજ ધામના વિકાસ માટે અગાઉ મંજૂર થયેલા સાડા ચાર કરોડ રૂપિયા ઉપરાંત, બીજા બે કરોડ રૂપિયા એમ કુલ 6.50 કરોડના વિકાસકામો સરકાર દ્વારા કરવામાં આવશે. આ ભંડોળ યાત્રાધામને વધુ સુવિધાઓથી સજ્જ બનાવવામાં મદદ કરશે. આ મહોત્સવ દરમિયાન, નાયબ મુખ્યમંત્રીએ હરિદ્વાર કુંભ મેળામાં મહામંડળેશ્વર અને તાજેતરમાં શંકરાચાર્યની પદવીથી વિભૂષિત થયેલા કનીરામ બાપુ તેમજ લઘુ મહંત નાગરદાસ બાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તેમણે મંત્રી તરીકે પદભાર સંભાળ્યાના બીજા જ દિવસે ભગવાન વડવાળાના આશીર્વાદ લઈ ગૌમાતા અને ગૌભક્તોની રક્ષાનો સંકલ્પ કર્યો હોવાનું પણ યાદ અપાવ્યું હતું. તેમણે ઉપસ્થિત માલધારી ભાઈ-બહેનો અને ભક્તોને સનાતન શક્તિને મજબૂત કરવા અને ગૌરક્ષાની નૈતિક જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ બાબુભાઈ દેસાઈ, ધારાસભ્ય પી.કે.પરમાર, અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાર્દિકભાઈ ટમાલીયા, જિલ્લા કલેક્ટર કે.એસ.યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગ્વહાણે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તેમજ મોટી સંખ્યામાં સાધુ-સંતો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતાં.
રાજ્યસભા ચૂંટણીમાં પેચ ફસાયો: ખડગેની ખુરશી બચાવવા કોંગ્રેસની ઠાકરેને 'એક્સ્ચેન્જ ઓફર'
File Image
પાટણમાં ચાર સ્થળેથી ₹29,000ના વીજ કટઆઉટ ચોરાયા:ગાંધીબાગ સહિત વિસ્તારોમાં ફ્યુઝ ચોરીથી વીજળી ગુલ
પાટણ શહેરમાં વીજળી ગુલ થવાની વારંવારની ઘટનાઓ બાદ તપાસ કરતાં વીજ તંત્ર ચોંકી ઉઠ્યું છે. શહેરના ચાર જુદા જુદા સ્થળોએથી કુલ ₹29,000ના વીજ કટઆઉટની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. આ મામલે પાટણ વીજ કંપનીએ અજાણ્યા ચોર સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ ચોરીની ઘટનાઓ 21 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી, 2026 દરમિયાન બની હતી. જલારામ ચોકથી ટેલિફોન એક્સચેન્જ સુધીના માર્ગ પર આવેલી દેવકૃપા સોસાયટી, ગાંધીબાગ, અવધૂત પાર્ક અને સ્ટર્લિંગ પાર્ક નજીક લગાવેલા ઉત્તર ગુજરાત વીજ કંપનીના FSP બોક્સમાંથી HRC ફ્યુઝ (કટઆઉટ) કાઢી લેવામાં આવ્યા હતા. ચોરોએ બોક્સને પણ નુકસાન પહોંચાડ્યું હતું. પાટણ શહેર પેટા વિભાગ-1ના નાયબ ઇજનેર ડી.ડી. મકવાણાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, 21 ફેબ્રુઆરીની રાત્રે 3:15 કલાકે દેવકૃપા સોસાયટી પાસે પાવર બંધ હોવાની ફરિયાદ મળી હતી. તપાસ કરતાં ₹7,500નો કટઆઉટ ચોરાયો હોવાનું જણાયું હતું. તેવી જ રીતે, 24 ફેબ્રુઆરીએ ગાંધીબાગ નજીકના બોક્સમાંથી ₹7,000નો કટઆઉટ ચોરાયો હતો. વધુમાં, 27 ફેબ્રુઆરીએ રેલવે નાળા સામે અવધૂત પાર્ક વિસ્તારમાં પાવર બંધ થતાં તપાસ કરતાં ત્યાંથી પણ ₹15,400નો કટઆઉટ ચોરાયો હતો. કેનાલ સામે સ્ટર્લિંગ પાર્ક નજીકના બોક્સમાંથી પણ ₹7,000નો કટઆઉટ ચોરી થયાનું વીજ કર્મચારીઓની તપાસમાં બહાર આવ્યું હતું. આ ચોરીઓને કારણે વારંવાર વીજળી ગુલ થતી હતી. વીજ તંત્રએ લોકોને આવી ચોરીઓ અંગે જાણ કરવા અપીલ કરી છે. આ ઘટનાઓ બાદ પાટણ વીજ કંપનીએ અજાણ્યા ચોર સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ચંદ્રગ્રહણના કારણે બોટાદમાં હોળીની અનોખી ઉજવણી:આનંદધામ ગ્રીન સિટી ખાતે હોલિકા દહન, ધુળેટી બુધવારે
બોટાદ શહેરના પાળીયાદ રોડ પર આવેલી આનંદધામ ગ્રીન સિટી સોસાયટી ખાતે હોલિકા દહનનો ઉત્સવ અનોખી રીતે ઉજવાયો હતો. ચંદ્રગ્રહણને કારણે આ વર્ષે ફાગણ સુદ પૂનમના દિવસે હોળીની ઉજવણીમાં વિલંબ થયો હતો. આનંદધામ ગ્રીન સિટી પરિવાર ગ્રુપ દ્વારા આ ભવ્ય હોલિકા ઉત્સવનું આયોજન કરાયું હતું. જેમાં વિસ્તારના અનેક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. બાળગોપાલ સહિત વડીલોએ હોલિકા માતાની પૂજા-અર્ચના કરી હતી. ચંદ્રગ્રહણને કારણે હોલિકા દહન પછી પંચાંગ અનુસાર 'ધોકો' આવ્યો હતો. આથી, ધુળેટીનો ઉત્સવ બુધવારે ઉજવવામાં આવ્યો હતો. જ્યોતિષીઓના મતે, પૂનમ સોમવારે સાંજે શરૂ થઈ હતી અને ચંદ્ર સિંહ રાશિમાં સવારે 7:51 વાગ્યે પ્રવેશ્યો હતો. હોળી પ્રાગટ્ય માટે સોમવારે સાંજે 6:40 થી રાત્રે 9:05 દરમિયાન હોલિકા દહનનું શુભ મુહૂર્ત હતું. આ નિર્ધારિત સમયે હોલિકા દહન સંપન્ન થયું હતું. આ હોલિકા દહનના સફળ આયોજન માટે ગ્રીન સિટી પરિવારના રણજીત વાળા, કમલેશ મહેતા, દેસાણી પટેલ, શિવરાજ ખાચર અને અગિયારસ ગ્રુપના તમામ સભ્યો તથા સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.
કેટલાક તત્વો દ્વારા નકલી ચલણી નોટો ઘુસાડીને ભારતીય અર્થતંત્રને ખોખલુ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી ICICI બેંકના કેશ ડિપોઝિટ મશીનમાં રૂ. 200ની 7 નકલી નોટ જમા થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે, જેને પગલે બેંક મેનેજરે આ મામલે DCB પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. ICICI બેંકની વાઘોડિયા રોડ શાખાના બ્રાન્ચ મેનેજર હીરેનભાઈ રમણીકલાલ શાહ (ઉંમર.37)એ DCB પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, અમારી બેંકની શાખામાં ત્રણ CDM મશીનો છે, જેમાં ગ્રાહકો 24 કલાક રોકડ જમા કરી શકે છે અને ઉપાડ પણ કરી શકે છે. આ મશીનોનું કેશ પ્રોસેસિંગ અને મેન્ટેનન્સનું કામ વેન્ડર કંપની CMS સર્વિસ પ્રા. લિ. કરે છે, જેનું કેશ પ્રોસેસિંગ સેન્ટર અટલાદરા ખાતે આવેલું છે. તા. 24 ફેબ્રુઆરીના રોજ કેશ પ્રોસેસિંગ સેન્ટરના હેડ સૌરભપ્રસાદે બેંકને ઈમેલ કરીને જણાવ્યું હતું કે, CDM મશીનમાં રૂ. 200ની 7 નોટો ડુપ્લિકેટ તરીકે નીકળી છે. વેન્ડર કંપનીના કર્મચારી વિપુલ ગોસાઈએ બેંકને જણાવ્યું હતું કે, આ નોટો સાથે એક સ્લિપ મળી છે, જેમાં કસ્ટમર કોડ અને ડુપ્લિકેટ નોટોના નંબરો લખેલા છે. બેંકની સેન્ટ્રલ ટીમની તપાસમાં ખુલાસો થયો કે, આ ડિપોઝિટ સ્વિગી કંપનીના કસ્ટમર કોડવાળા શખ્સ CDM મશીનમાં રૂપિયા જમા કરાવવા આવ્યો હતો. જેમાં કુલ રૂ. 1700 જમા કરાવવામાં આવ્યા હતા, જેમાંથી રૂ. 300 એકાઉન્ટમાં જમા થયા, પરંતુ રૂ. 1400 (રૂ. 200ના દરની 7 નોટ) રિજેક્ટ થઈને રિજેક્શન ટ્રેમાં રહી ગયા હતા. બેંકે CCTV ફૂટેજ તપાસતાં તા. 14 ફેબ્રુઆરી રાત્રે 10:17 વાગ્યે એક અજાણ્યા વ્યક્તિને મશીનમાં રોકડ જમા કરતો જોવા મળ્યો છે. આ નોટો પર 'કાઉન્ટરફિટ બેન્કનોટ ઇમ્પાઉન્ડેડ ICICI બેંક લિમિટેડ' અને 'ફોર્જ્ડ નોટ ઇમ્પાઉન્ડેડ ICICI બેંક લિમિટેડ વાઘોડિયા બ્રાન્ચ'ના સ્ટેમ્પ મારેલા છે. નોટો પર RBIના સામાન્ય મુદ્રણ અને સુરક્ષા લક્ષણો છે, પરંતુ તે બનાવટી હોવાનું પુષ્ટિ થઈ છે. RBIના નિયમો અનુસાર 5 કે, તેથી વધુ નકલી નોટો મળવા પર કાયદેસર કાર્યવાહી કરવાની જરૂર પડે છે. આથી બેંકે આ 7 નકલી નોટો સાથે DCB પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને ડિપોઝિટ કરનાર વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે.
'જહાજોમાં આગ લગાવી દઇશું', ઈરાનની ખુલ્લી ધમકીથી ભારત સહિત અનેક દેશોની ચિંતા વધી
Strait of Hormuz Closure: અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ હવે ચરમસીમાએ પહોંચ્યું છે. ઈરાને વિશ્વના સૌથી મહત્ત્વના દરિયાઈ માર્ગ પૈકીના એક એવા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'(હોર્મુઝ સામુદ્રધુની)ને બંધ કરી દીધો છે. ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર, ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ્સ(IRGC) એ ચેતવણી આપી છે કે જો કોઈ પણ જહાજ આ માર્ગ પરથી પસાર થવાનો પ્રયત્ન કરશે, તો તેને આગ લગાવી દેવામાં આવશે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે હવે અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવા તૈયાર નથી, જ્યારે બીજી તરફ અમેરિકન પ્રમુખ અને તેમનું વહીવટીતંત્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. કેમ મહત્ત્વની છે હોર્મુઝ સ્ટ્રેટ?
વર્ષ 2026 માટે ગુજરાતના જાણીતા આગાહીકારો અને જ્યોતિષીઓએ ચોમાસા અને દેશની સ્થિતિ અંગે મહત્ત્વનો વરતારો રજૂ કર્યો છે, જેમાં અતિવૃષ્ટિ અને વાવાઝોડાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વંથલીના રમણિકભાઈ વામજા અને જ્યોતિષાચાર્ય ડો. દિલીપ દવેના મતે, આ વર્ષે હોળીની જ્વાળાઓ આકાશ અને ઈશાન ખૂણા તરફ જતાં સાર્વત્રિક વરસાદ અને સુખ-સમૃદ્ધિના સંકેત મળી રહ્યા છે, જોકે દરિયાકાંઠાના વિસ્તારોમાં 60 ઇંચ સુધીનો ભારે વરસાદ અને વાવાઝોડાનું જોખમ પણ રહેલું છે. એકતરફ અનાજ-કઠોળનો બમ્પર પાક થવાની શક્યતા છે, તો બીજી તરફ હોળીના ધુમાડા અને ખગોળીય ગ્રહ દશાઓને જોતા દેશમાં ભયંકર મોંઘવારી, આર્થિક તંગી અને રાજકીય ઉથલપાથલના ભણકારા પણ વાગી રહ્યા છે. ઓગસ્ટમાં આવનારા ગ્રહણોને કારણે વેપારીઓ માટે કપરો સમય અને નવરાત્રી સુધી બજારમાં મંદીનો માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. વેરાવળ, જામનગર અને પોરબંદરમાં અતિભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતાવંથલીના આગાહીકાર રમણિકભાઈ વામજાએ જણાવ્યું હતું કે, આ વર્ષે શરદ પૂર્ણિમાના દિવસે રાત્રે 8થી સવારના 6 વાગ્યા સુધી પવન અને ખાંડાવાળા પવનો સાથે અતિ ભારે ભેજ આવવાને કારણે વર્ષ 2026 ઘણું સારું રહેશે. તેમના મતે આ વર્ષે અતિવૃષ્ટિ થવાની સંભાવના છે. હોળીના પવનની દિશા જોતા દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે વેરાવળ, જામનગર અને પોરબંદરમાં અતિભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. આ વિસ્તારોમાં 55થી 60 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. 'અખાત્રીજ અને ઉતાસણીના પવનને જોતા આ વર્ષે અતિશય ગરમી પડશે'નક્ષત્રો અને ગરમીની અસર વિશે રમણિકભાઈએ જણાવ્યું હતું કે, અખાત્રીજ અને ઉતાસણીના પવનને જોતા આ વર્ષે અતિશય ગરમી પડશે. રોહિણી નક્ષત્રમાં અસહ્ય ગરમીનો અનુભવ થશે. જ્યારે ભાદરવા સુદ છઠના દિવસે અનુરાધા નક્ષત્ર બેસે છે, જે વર્ષ માટે શુભ સંકેત છે. ભાદરવા વદમાં હાથિયા નક્ષત્ર બેસે ત્યારે પાછતરો વરસાદ ગાજવીજ સાથે થશે, જેનાથી પાકને નુકસાન થવાની પણ ભીતિ છે. 'દેશના કોઈ મહાન વ્યક્તિનું નિધન થઈ શકે'સામાજિક અને રાજકીય સંકેતો અંગે તેમણે એક ગંભીર આગાહી કરતા જણાવ્યું કે, જાર ઊંચી જવાથી દેશના કોઈ મહાન વ્યક્તિનું નિધન થઈ શકે છે. આ ઉપરાંત, દેશમાં યુદ્ધના ભણકારા પણ વાગી શકે છે તેવું તેમનું અનુમાન છે. ઓગસ્ટ મહિનામાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ જેવી ખગોળીય ઘટનાઓ પણ જોવા મળશે. સૂર્યગ્રહણ-ચંદ્રગ્રહણ આવતા હોવાથી વેપારમાં ભયંકર મંદીની શક્યતાખેડૂતો અને વેપારીઓ માટે સ્થિતિ વિશે વાત કરતા કહ્યું, આ વર્ષ ખેડૂતો માટે એકંદરે સારું રહેશે, પરંતુ વેપારીઓ માટે કપરો સમય હોઈ શકે છે. વર્ષ દરમિયાન બે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ આવતા હોવાથી વેપારમાં ભયંકર મંદી આવવાની શક્યતા છે. આ મંદી છેક નોરતા (નવરાત્રી) સુધી ચાલશે તેવું તેમનું પૂર્વાનુમાન છે 'આકાશ તરફ જ્વાળાઓ ગઈ છે જે સુખ અને સમૃદ્ધિનું પ્રતીક'જ્યોતિષાચાર્ય ડો.દિલીપ દવેએ જણાવ્યું હતું કે, હોળી પ્રગટાવવાથી જે જ્વાળા જે દિશામાં જાય છે એના આધારે વરસાદનો વરતારો અથવા ભવિષ્યવાણી કરવાની આપણે ત્યાં જૂની પરંપરા છે અને આ પરંપરા ઘણી અંશે સાચી પણ છે, પેઢીઓથી હું જોતા આવ્યો છું કે, આ પ્રમાણે વરસાદનો વરતારો કરવામાં આવે છે અને ખેડૂતો એના આધારે ઘણું બધું આગળ વધતા હોય છે. આ વખતે જે જ્વાળાઓ ગઈ છે એ મોટાભાગની આકાશ તરફ જ્વાળાઓ ગઈ છે જે સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે, રાષ્ટ્રમાં સુખ વધશે, શાંતિ વધશે, સાર્વત્રિક વરસાદ થશે, અનાજ પણ સારું થશે, કઠોળ પણ સારું થશે અને પશુપાલન માટે ઘાસ પણ સારું થશે, લોકોની સમૃદ્ધિ વધશે, સુખાકારી વધશે એવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં તોફાન અને વાવાઝોડું આવી શકેઘણી વખત જ્વાળાઓ દક્ષિણમાં પણ જતી હોય ત્યારે રોગચાળાનો ભય રહેતો હોય, લોકોના આરોગ્ય બગડતા હોય, નવા નવા રોગો ઉદભવતા હોય એવું પણ બને, પણ આ વખતે જ્વાળાઓ જે છે એ ઉપરની તરફ અને થોડા ઇશાન તરફ ગઈ છે જેના કારણે એવું કહી શકાય થોડા પ્રાંતમાં ખંડ વરસાદ થઈ શકે, ઉપરાંત ઠંડીનું જોર વધી શકે. ઇશાનમાં જવાનો બીજો અર્થ એવો પણ છે કે દરિયાકાંઠાના જે વિસ્તારો છે એમાં વાવાઝોડા જેવો માહોલ સર્જાય અને અતિવૃષ્ટિ થાય અથવા પવન સાથે વરસાદ આવે એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે, દક્ષિણ ભારતના રાજ્યોમાં તોફાન આવી શકે છે ઉપરાંત મોટા વાવાઝોડા આવી શકે છે, વધારે વરસાદ થાય, ખંડવૃષ્ટિ થાય એવી સંભાવનાઓ જણાઈ રહી છે. વધુ પડતો ધૂમાડો થયો હોવાથી મોંઘવારી વધશે તેવી શક્યતાજો દક્ષિણમાં અથવા તો પશ્ચિમમાં ગઈ હોત તો એનું ફળકથન થોડું જુદું હોઈ શકે, લોકોને તકલીફ પડી શકે, વરસાદ ખેંચાઈ શકે એવી આગાહી મેં કરી હોત પણ આ વખતે આકાશ તરફ જ્વાળાઓ ગઈ છે અને ઇશાન તરફ ગઈ છે એટલા માટે થઈને લોકોને ઘણો લાભ થશે, વરસાદ પણ સારો થશે, પરંતુ એક વાત અહિયાં નોંધવી જરૂરી છે કે ધુમાડો જે હોવો જોઈએ એના કરતાં વધારે ધુમાડો થતો હતો, એનો અર્થ એવો લઈ શકાય શાસ્ત્રના આધારે, પરંપરાના આધારે મોંઘવારી વધશે, લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડશે, થોડી મુશ્કેલીઓ પણ આવી શકે, આર્થિક તંગીની તકલીફ થાય, લોકોને નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. પશ્ચિમી દેશોએ આજસુધી ન જોયેલું કુદરતનું રૌદ્ર સ્વરૂપ નજરે નિહાળશેભાવનગરનાં જ્યોતિષ વિશારદ અને ખગોળ વિદ પ્રદિપ મહેતાના અભ્યાસ મુજબ, વર્તમાન સમયે ગોચર મંડળમાં સાત ગ્રહોની યુતિ સાથે ચંદ્રગ્રહણની ઘટના વૈશ્વિક સ્તરે સતત ઉથલપાથલનું સ્પષ્ટ સૂચન કરે છે. માનવ સર્જિત અને કુદરત સર્જિત આફતો એક બાદ એક આવશે અને વાતાવરણ અસ્થિર બનશે, પશ્ચિમી દેશોએ આજસુધી ન જોયેલું કુદરતનું રૌદ્ર સ્વરૂપ નજરે નિહાળશે. હોળી પર્વ આગામી વાણી ભાખવા માટે ખૂબ મહત્વપૂર્ણદક્ષિણ ભારતના અનેક રાજ્યોના વિદ્વાનો પ્રાચીન ગ્રંથો આધારે સમય અને રૂતુચક્રનો વર્તારો સચોટ રીતે આજે પણ જાહેર કરે છે, પૌરાણિક ગ્રંથો ના મત મુજબ ફાગણ સુદ પૂનમની તિથિ સાથે સૂર્યનારાયણ પૃથ્વી પરના જળતત્વને બાષ્પીભવન કરવાની ક્રિયા પૂરા વેગ સાથે શરૂ કરે છે અને આ ક્રિયા સાડાત્રણ માસ સુધી ચાલે છે. સૂર્ય કેટલો તપશે ક્યાં વધુ તાપ હશે સહિતની બાબતોનો સ્પષ્ટ નિર્દેશ હોળીની ઝાળ પરથી નક્કી થાય છે, આથી હોળીની જ્વાળા કેટલી ફેલાઈ કેટલી લંબાઈ અને તેનો ઝુકાવ કઈ દિશામાં વધુ રહ્યો તે આધારે ચોમાસાનું કથન શક્ય છે. ફાગણ સુદ પૂનમની તિથિ એ ગ્રહ, નક્ષત્ર, વાયુ, સહિતનું પંચાંગ પણ અભ્યાસુઓ ધ્યાનમાં રાખીને ચોમાસાનો અને આવનારા સમયનો સચોટ ચોક્કસ વરતારો કરતા હોય છે. ગુજરાતની જેમ રાજસ્થાનમાં પણ હોળી પર્વ આગામી વાણી ભાખવા માટે ખૂબ મહત્વપૂર્ણ મનાય છે.
ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના લોઢવા ગામે હોળી પર્વ નિમિત્તે સદીઓ જૂની અને અતૂટ શ્રદ્ધાની અનોખી પરંપરા આજે પણ જીવંત છે. હોલિકા દહન બાદ વહેલી સવારે ધગધગતા અંગારા પર ખુલ્લા પગે ચાલવાની આ પ્રથા ગામની ધાર્મિક ઓળખ બની ગઈ છે. આશરે 100 વર્ષથી અવિરત ચાલતી આ પરંપરા ગ્રામજનોમાં અખંડ વિશ્વાસ અને એકતાનું પ્રતીક છે. હોલિકા દહન પછી આખી રાત ગ્રામજનો ભજન-કીર્તન અને જાગરણ કરે છે. ભક્તિભાવથી ગુંજતા માહોલમાં ગામમાં આધ્યાત્મિક ઊર્જા છવાઈ જાય છે. વહેલી સવારે લગભગ 4 વાગ્યે “કુંભ” કાઢવાની વિધિ પૂર્ણ થયા બાદ હોળીના ધગધગતા અંગારા બહાર કાઢવામાં આવે છે. ત્યારબાદ ગામના વડીલો, યુવાનો તેમજ અન્ય ગ્રામજનો શ્રદ્ધાપૂર્વક ખુલ્લા પગે આ ગરમ અંગારા પર ચાલે છે. ગ્રામજનોનું માનવું છે કે આ પરંપરા પ્રત્યેની અતૂટ આસ્થા અને વિશ્વાસને કારણે ગામમાં સુખ-શાંતિ અને આરોગ્ય જળવાઈ રહે છે. આશ્ચર્યજનક રીતે, આટલા વર્ષોમાં અંગારા પર ચાલવા છતાં કોઈને ગંભીર ઈજા કે દાઝવાની ઘટના બની નથી. ગામલોકો આને દૈવી કૃપા અને ભક્તિની શક્તિ ગણાવે છે. આ પરંપરા અંગે ગામના રહેવાસી રામભાઈ વાઢેરએ જણાવ્યું હતું કે હોલિકા દહનના દિવસે સમગ્ર ગામ ભજન-કીર્તન સાથે જાગરણ કરે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે કુંભ વિધિ પહેલાં હોળીમાંથી અંગારા બહાર કાઢી વિશેષ રીતે તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ લોકો શ્રદ્ધાભાવથી તે પર ચાલે છે. લોઢવા ગામની આ અનોખી પરંપરા જોવા માટે આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. હોળી પર્વે અહીં ધાર્મિક અને ઉત્સવી માહોલ સર્જાય છે, જ્યાં આસ્થા, પરંપરા અને એકતા એકસાથે ઝળહળી ઊઠે છે.
મજરામાં 500 વર્ષ જૂની હોળી પરંપરા:શ્રદ્ધાળુઓમાં સળગતા અંગારા પર ખુલ્લા પગે ચાલવાની પરંપરા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામે છેલ્લા 500 વર્ષથી વધુ સમયથી હોળી દહનનો ઉત્સવ અનોખી રીતે ઉજવાય છે. અહીં યંત્રયુગમાં પણ પ્રાચીન પરંપરા આજે પણ યથાવત જોવા મળે છે, જેમાં શ્રદ્ધાળુઓ સળગતા અંગારા પર ખુલ્લા પગે ચાલે છે. ગામમાં આવેલા ભૈરવનાથ મંદિરના ચોકમાં હોળીની રાત્રે બે અલગ-અલગ હોળી પ્રગટાવવામાં આવે છે. એક હોળી લાકડાંથી બનેલી હોય છે, જ્યારે બીજી હોળી છાણાંની હોય છે. હોળી પ્રગટ્યા પછી, લાકડાંની હોળીના સળગતા અંગારાઓ પર ગામના બાળકોથી લઈને યુવાનો અને વૃદ્ધો ખુલ્લા પગે ચાલીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે. આ પરંપરામાં આજ સુધી કોઈ દાઝવાનો બનાવ નોંધાયો નથી, જેને ગામજનો દાદા ભૈરવનાથની કૃપા માને છે. હોળી દહન નિમિત્તે પ્રાંતિજ તાલુકા ઉપરાંત મહેસાણા, અમદાવાદ, મોડાસા અને ગાંધીનગર સહિત દૂરદૂરથી શ્રદ્ધાળુઓ મજરા ખાતે દાદા ભૈરવનાથના દર્શન કરવા ઉમટી પડે છે. લોકો પોતાની માનતા પૂર્ણ કરવા માટે ધાણી, ખજૂર, શ્રીફળ, શેરડી અને કેરી જેવી વસ્તુઓ ચઢાવી પૂજન-અર્ચન કરે છે. હોળીના દિવસે જો કોઈ પરિવારમાં પુત્ર જન્મ્યો હોય, તો બાળકને પ્રથમ હોળી દર્શન કરાવવાની પરંપરા પણ પ્રચલિત છે. નવા પરણેલા દંપતિઓ પણ હોળીના દર્શન કરી પ્રદક્ષિણા કરે છે. ખેડૂતો અગ્નિની જ્યોતમાંથી પૂળા પ્રગટાવી તેને પોતાના ખેતરો અને પશુઓ માટે શુભ માની ઘરે લઈ જાય છે. હોલિકા દહન પ્રસંગે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પ્રાંતિજ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પ્રાંતિજ PI એન.આર. ઉમટ અને PSI જે.ડી. પટેલ સહિતનો પોલીસ સ્ટાફ ખડેપગે હાજર રહીને કામગીરી સંભાળી હતી.
ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરમાં આજે પૂનમ:ચંદ્રગ્રહણને કારણે દર્શનનો સમય બદલાયો
ખેડબ્રહ્માના પવિત્ર યાત્રાધામ અંબિકા માતાજી મંદિરમાં આજે ફાગણ સુદ પૂનમ મનાવવામાં આવી રહી છે. ચંદ્રગ્રહણને કારણે મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વહેલી સવારથી જ ચાચર ચોક ભક્તોની ભીડથી ઉભરાઈ ગયો હતો. આ અંગે ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટના મેનેજર દિલીપસિંહ કુંપાવતે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, પૂનમને કારણે ભક્તો માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા અને સવારે 6 કલાકે આરતી કરવામાં આવી હતી. ચંદ્રગ્રહણને ધ્યાનમાં રાખીને, આજે સવારે 6 કલાકથી બપોરે 11 કલાક સુધી મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે. સવારે 10 કલાકે થાળ અને રાજભોગ આરતી થશે. બપોરે 11 કલાકથી રાત્રે 8 કલાક સુધી માતાજીના દર્શન જાળીમાંથી થઈ શકશે. રાત્રે 8 થી 9 એક કલાક માટે મંદિરના દ્વાર બંધ રહેશે. ત્યારબાદ રાત્રે 9.15 કલાકે સાંધ્ય આરતી થશે અને 9.45 કલાકે થાળ તથા રાજભોગ આરતી કરવામાં આવશે. આવતીકાલથી દર્શન અને આરતીનો સમય રાબેતા મુજબનો રહેશે. સાબરકાંઠા સહિત આજુબાજુના જિલ્લાઓ અને રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો પૂનમ ભરવા માટે ખેડબ્રહ્મા આવ્યા હતા. મંગળવારે વહેલી સવારે મોટી સંખ્યામાં ભક્તોએ 6 કલાકની મંગળા આરતીનો લાભ લીધો હતો.
રાજકોટના કણકોટ - મવડી મેઇન રોડ પર આવેલ ડ્રીમ સિટી એપાર્ટમેન્ટમાં ગત મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. જેને લીધે ત્યાં પાર્કિંગમાં રાખેલા 30 જેટલા ટુ વ્હીલર વાહનો આગમાં બળીને ખાખ થઈ ગયા હતા. જોકે ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો અને ફ્લેટમાં ફસાયેલા એક બિમાર વૃધ્ધા અને દિવ્યાંગ યુવાનનું રેસ્ક્યુ કરી બચાવી લેવાયા હતા. પ્રાથમિક તબક્કે મીટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. જોકે સમયસર આગ કાબુમાં આવી જતા મોટી જાનહાની ટળી હતી. મળતી માહિતી પ્રમાણે, મવડી કણકોટ રોડ ઉપર ડ્રીમ સિટી વિંગ E માં પાર્કિંગમાં પડેલા ટુ-વ્હીલરોમાં આગ લાગ્યાની 2 માર્ચના રાત્રે 12.40 વાગ્યે જાણ થઈ હતી. જેથી મવડી ફાયર સ્ટેશનનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો અને સતત 40 મિનિટ પાણીનો મારો ચલાવીએ આગ પર કાબુ મેળવી લીધો હતો. આગને કારણે અંદાજિત 25 થી 30 જેટલા વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. આ ઉપરાંત પાંચ થી સાત જેટલી સાયકલ પર આગની ઝપેટમાં આવી ગઈ હતી. જોકે 10 ટુ વ્હીલર અને 40 જેટલી કાર સુરક્ષિત રીતે બહાર કાઢી નાખવામાં આવી હતી. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે મીટરમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી અને નુકસાનનો કોઈ ચોક્કસ આંકડો પણ જાણવા મળ્યો નથી. જોકે આ દરમિયાન બિલ્ડીંગમાં ઈલેક્ટ્રીક પાવર કટ કરી નાખવામાં આવતા નવમા માળે રૂમ નંબર 902 માં રહેતા બિમાર શોભનાબેન અને 8 માં માળે દિવ્યાંગ પીન્ટુભાઇ કાલરીયા ફસાઈ ગયા હતા જોકે બંનેને ફાયર બ્રિગેડની સ્ટ્રેચર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
ગૃહમંત્રી હર્ષ સંઘવીનું ગૌરક્ષા પર કડક નિવેદન:''ગૌહત્યા કરનારાઓને કાયદાનો પાઠ ભણાવાશે''
સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ વડવાળા ધામ ખાતે હોળી મહોત્સવ અને શીતલ ગૌશાળાના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગૌરક્ષા મુદ્દે કડક સંદેશ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન લોકડાયરો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં માલધારી સમાજ અને ભક્તો હાજર રહ્યા હતા. વડવાળા ધામના મહંત કનીરામ બાપુએ ગૃહમંત્રીને પાઘડી પહેરાવી સન્માનિત કર્યા હતા. વડવાળા મંદિર તરફથી નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના રબારી સમાજના હાર્દિકભાઈ ટમાલીયાને પણ સોનાની પાઘડી પહેરાવી સમાજ વતી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગૌહત્યા કરનારાઓને કાયદાનો કડક પાઠ ભણાવવામાં આવશે અને કોઈને છોડવામાં નહીં આવે. તેમણે પ્રથમ વખત વડવાળા ધામે આવ્યા ત્યારે ગૌરક્ષાની સોગંદ લીધી હોવાનું અને કનીરામ બાપુના આશીર્વાદથી તે કાર્ય પૂર્ણ કરવા પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. તેમણે માલધારી સમાજને ગૌરક્ષા માટે એકતાથી કાર્ય કરવા અપીલ કરી હતી. ગૌહત્યારા તત્વોને કાયદેસરની કાર્યવાહીથી સીધા પગે ચાલી ન શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે તેવી ખાતરી પણ તેમણે આપી હતી. આ પ્રસંગે સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં કનીરામ બાપુને “જગતગુરુ” પદવી અપાઈ હતી, જેને માલધારી સમાજ માટે ગૌરવની ક્ષણ ગણાવવામાં આવી હતી.
વડોદરાના ન્યૂ વી.આઈ.પી. રોડ પર આવેલી શ્રી સાઈકૃપા સોસાયટીમાં હોળીકા દહનનો તહેવાર ધાર્મિક શ્રદ્ધા સાથે ઉજવાયો હતો. સોસાયટીની કારોબારી સમિતિ અને રહીશોના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હોળીકા દહન હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર છે. તેને અસત્ય પર સત્યની જીત અને અધર્મ પર ધર્મની વિજયનું પ્રતીક માનવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર, ભક્ત પ્રહલાદની ભક્તિ અને હોલિકાના દહન દ્વારા સદાચાર અને શ્રદ્ધાનો સંદેશ અપાય છે. આ તહેવાર સામાજિક એકતા અને ભાઈચારો મજબૂત બનાવવાનો અવસર પણ પૂરો પાડે છે. આ પ્રસંગે લોકો એકત્રિત થઈ સમૂહમાં પૂજન-અર્ચન કરે છે, જે પરસ્પર પ્રેમ અને સૌહાર્દની ભાવનાને પ્રોત્સાહન આપે છે. કાર્યક્રમ દરમિયાન, વિધિવત મંત્રોચ્ચાર સાથે હોળીકાનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પૂજનમાં સોસાયટીના અનેક રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પૂજન બાદ વિધિપૂર્વક હોળીકા દહન કરવામાં આવ્યું. આ પ્રસંગે નાના બાળકો અને સોસાયટીના સભ્યો દ્વારા પૂજા-અર્ચના કરીને સૌના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
કચ્છ સહિત રાજ્યમાં ગુજરાતી સિવાયના હિન્દી, અંગ્રેજી સહિતના અન્ય માધ્યમની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ હોવાને કારણે બાળકોના શિક્ષણ પર અસર પડી રહી છે ત્યારે રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. નવા આદેશ મુજબ ગુજરાતી સિવાય અન્ય માધ્યમની શાળાઓમાં જ્યાં કાયમી શિક્ષકો અથવા જ્ઞાન સહાયકની જગ્યા ખાલી છે ત્યાં હવે સ્થાનિક કક્ષાએથી કરાર આધારિત નિમણૂક આપી શકાશે. અત્યાર સુધી કેન્દ્રીયકૃત પદ્ધતિથી ભરતી કરાતી પરંતુ ઘણીવાર ઉમેદવારો હાજર થતા નથી અથવા જગ્યા ખાલી રહી જાય છે જેના ઉકેલ રૂપે સ્થાનિક સ્તરે સત્તા સોંપાઈ છે. આ પ્રક્રિયા અંતર્ગત ધોરણ 1 થી 5 માટે એચ.એસ.સી. સાથે પી.ટી.સી. અને ધોરણ 6 થી 8 માટે સ્નાતક સાથે તાલીમી લાયકાત ધરાવતા અને જે તે માધ્યમમાં અભ્યાસ કરેલ હોય તેવા સ્થાનિક ઉમેદવારોને પ્રાથમિકતા અપાશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારીના માર્ગદર્શન હેઠળ શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા જાહેરાત આપીને અરજી મંગાવાશે અને ત્યારબાદ મેરિટના આધારે 11 માસના કરાર માટે પસંદગી થશે. આ રીતે નિમણૂક પામેલા શિક્ષકોને જ્ઞાન સહાયક યોજના મુજબ માસિક 21 હજાર ફિક્સ વેતન ચૂકવાશે. જો 11 માસ દરમિયાન કોઈ કાયમી શિક્ષકની ભરતી થાય અથવા બદલીથી કોઈ શિક્ષક હાજર થાય તો આ કામચલાઉ નિમણૂક આપોઆપ રદ ગણાશે. કચ્છમાં ભુજ ખાતે હિન્દી પ્રાથમિક શાળા, હાથીસ્થાન અંગ્રેજી માધ્યમ શાળા, અંજારમાં અંગ્રેજી માધ્યમની શાળા તેમજ ગાંધીધામમાં હિન્દી અને અંગ્રેજી શાળા આવેલી છે.ગુજરાતી સિવાયની આ શાળાઓમાં ખાલી જગ્યાઓ પર ભરતી થશે કચ્છમાં શિક્ષકોની ઘટ પૂરવા સ્થાનિક ઉમેદવારોને તક જરૂરીકચ્છમાં કુલ 1667 પ્રાથમિક શાળા આવેલી છે, જેમાં ધોરણ 1 થી 5 માં 5507 અને ધોરણ6 થી 8 માં 3788 મળીને કુલ 9295 શિક્ષકોનું મહેકમ છે.વાસ્તવિક સ્થિતિએ જિલ્લામાં 2 હજાર કરતાં વધુ શિક્ષકોની ઘટ છે. જિલ્લામાં નિમણૂક પામતા ઘણા શિક્ષકો હાજર થયા બાદ તક મળતા અન્ય જિલ્લામાં બદલી કરાવી લે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકારે ખાસ ભરતીમાં નિવૃત્તિ સુધી કચ્છમાં રહેવાની શરત રાખી હતી, પરંતુ તેમાં પૂરતા પ્રમાણમાં લાયક ઉમેદવારો મળી રહ્યા નથી. હાલમાં પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા ગુજરાતી સિવાયના અન્ય માધ્યમો એટલે કે હિન્દી, અંગ્રેજી અને ઉર્દૂ જેવી શાળાઓમાં શિક્ષકોની ઘટ નિવારવા સ્થાનિક કક્ષાએથી કરાર આધારિત ભરતીની છૂટ અપાઈ છે ત્યારે શિક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે, આ તર્જ પર કચ્છની ગુજરાતી માધ્યમની શાળાઓમાં પણ સ્થાનિક લાયકાત ધરાવતા ઉમેદવારોને તક અપાય તો શિક્ષકોની અછતનો ઉકેલ આવી શકે તેમ છે. સ્થાનિક ઉમેદવારો ભૌગોલિક પરિસ્થિતિથી પરિચિત હોવાની સાથે અહીં સ્થાયી હોવાથી બદલી કરાવીને જવાનો પ્રશ્ન પણ રહેશે નહીં.
તંત્રની બેદરકારીથી અકસ્માતની ભીતિ:માધાપરમાં બમ્પ પર એસટી બસ ઉછળી , 9ને ઈજા
શહેરમાં આવેલા સ્મૃતિવનથી ઝાંસીની રાણી સર્કલ થઇને માધાપર જતો માર્ગ થોડા દિવસો પહેલાજ બનાવવામાં આવ્યો છે. બેજવાબદાર તંત્ર દ્વારા અહીં બમ્પ પર સફેદ પટ્ટા પણ કરવમાં આવ્યા નથી, તેવામાં સોમવારે સવારે આ માર્ગ પર આડેધડ બનાવેલ બમ્પ પર એસટી બસ ઊછળતા તેમાં સવાર જી.કે.જનરલ નર્સિંગ કોલેજની નવ વિધાર્થિનીઓને ઈજાઓ પહોંચતા સારવાર માટે લઇ જવામાં આવી હતી. ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ચોકીએથી મળેલી વિગતો મુજબ સોમવારે સવારે નવ વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. જેમાં ભુજની જી.કે.જનરલ કેમ્પસમાં રહી નર્સિંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થિની રીન્કુબેન, નિધિબેન, ઇશાબેન, કૃપાબેન, રિંકલબેન, ક્રીનાબેન, જૈનીબેન, રજીયાબેન અને દર્શનાબેન એસટી બસમાં બેસીને માધાપર સીએચસી ખાતે ફરજ પર જવા નીકળી હતી. એ દરમિયાન સ્મૃતિવનથી ઝાંસીની રાણી સર્કલ થઈને માધાપર તરફ જતા રસ્તા પર પહોચ્યા ત્યારે રોડ પર બનેલા બમ્પ પર એસટી બસ ઉછળી હતી. જેથી બસમાં સવાર વિધાર્થીનીઓ પછડાઈ હતી અને ઈજાઓ પહોચી હતી. બનાવ બાદ તાત્કાલિક ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીઓને સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જોકે આ અકસ્માતમાં વિદ્યાર્થીનીઓને ગંભીર ઈજાઓ પહોંચી ન હતી. ઉલ્લેખનીય છે કે, ઝાંસીની રાણી સર્કલથી ગાંધી સર્કલ સુધીનો માર્ગ થોડા સમય પહેલા જ બનાવવામાં આવ્યો છે. આ માર્ગ પર આડેધડ બમ્પ બનાવી દેવામાં આવ્યા છે પરંતુ બમ્પ પર સફેદ પટ્ટા કરવામાં ન આવતા વાહન ચાલકોને બમ્પ દેખાતો નથી અનેઅકસ્માત સર્જાય છે. આ માર્ગ પર રોડ લાઇટનો અભાવ : વાહનોની LED નો ભારે ત્રાસઝાંસી કી રાની સર્કલ થી ગાંધી સર્કલ સુધી માંડ માંડ રોડ બન્યો અને તેમાં નિયમ વગરના સ્પિડબ્રેકર બનાવ્યા તેમાં રેડિયમ રિફ્લેક્ટર કે સફેદ પટ્ટા દોરવામાં આવ્યા નથી. અધુરામાં પુરુ આ મુખ્ય માર્ગ પર રોડ લાઇટો ઘણા સમયથી બંધ છે. પ્રતિબંધ હોવા છતાં ઘણા વાહનોમાં લગાવેલી અને સામેથી આવતી સફેદ એલઇડી લાઇટનો પ્રકાશ આંખ આંજી નાખે છે. આરટીઓ તંત્ર સફેદ એલઇડી સામે કડક કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગયું છે. હાલમાં વાહન ચાલકો અહીં ભગવાન ભરોસે પસાર થઇ રહ્યા છે તંત્રએ તાકીદે રોડલાઇટ શરૂ કરવા સાથે સફેદ પટ્ટા દોરવા જોઇએ. આ ઉપરાંત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રથી આરટીઓ સુધી ગટરના ખાડા ખોદીને રાખ્યા છે ત્યાં પણ યોગ્ય રિફ્લેક્ટર ન હોવાના કારણે અકસ્માતનો ભય સતાવે છે.

32 C