SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

31    C
... ...View News by News Source

જામનગર પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો:ત્રણ આરોપીઓ ₹1.87 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

જામનગર પંચકોષી એ ડિવિઝન પોલીસે ચોરીનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરીમાં ગયેલા કુલ ₹1,87,600 ના મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ સર્વેલન્સ સ્ટાફના નિર્મળસિંહ બી. જાડેજા, ગીરીરાજસિંહ કે. જાડેજા અને કમલેશભાઈ એ. ખીમાણીયાને ખાનગી બાતમીદાર અને નેત્રમ પ્રોજેક્ટ દ્વારા માહિતી મળી હતી. આ માહિતી મુજબ, જામનગર-રાજકોટ હાઈવે પર સ્કોડા શો-રૂમ પાસે ચોરીના ટ્રકના ઓટોપાર્ટ્સ સાથે ત્રણ ઈસમો CNG રિક્ષા (GJ 10 TZ 4467) માં નીકળવાના હતા. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી લીફ્ટ XL બોલ્ટ (28 નંગ, કિંમત ₹33,000), ટાટા કંપનીની ગિયરની ચલમ (1 નંગ, કિંમત ₹1,600) અને ઢકના ડિસ્ટન્સ (2 નંગ, કિંમત ₹3,000) સહિત કુલ ₹37,600 નો ચોરીનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી ₹1,50,000 ની CNG રિક્ષા પણ કબજે કરવામાં આવી હતી, આમ કુલ ₹1,87,600 નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પકડાયેલા આરોપીઓમાં અસ્લમ રઝાકભાઈ પાલાણી (ઉ.વ. 25, રહે. જોડીયાભુંગા વિસ્તાર, બેડી, જામનગર), આબીદ હુસેનભાઈ આમલા (ઉ.વ. 25, રહે. જોડીયાભુંગા વિસ્તાર, બેડી, જામનગર) અને અકબર આબીદભાઈ અંગારીયા (ઉ.વ. 26, રહે. જોડીયાભુંગા વિસ્તાર, બેડી, જામનગર) નો સમાવેશ થાય છે. આ સમગ્ર કાર્યવાહી પંચકોષી 'એ' ડિવિઝન પો.સ્ટે. ના PI એમ.એન. શેખ, ASI નિર્મળસિંહ ભરતસિંહ જાડેજા, પો.હેડ કોન્સ. ગીરીરાજસિંહ કીરીટસિંહ જાડેજા, પો.હેડ કોન્સ. ચેતનભાઈ રમેશભાઈ ઘાઘરેટીયા, પો.કોન્સ. હરદેવસિંહ મંગળસિંહ ઝાલા અને પો.કોન્સ. કમલેશભાઈ અમુભાઈ ખીમાણીયા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 10:58 am

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનું વાપીમાં સ્વાગત:BJP કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી, પુષ્પવર્ષા કરી અભિનંદન આપ્યા

રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનું વાપી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈને રાજ્ય મંત્રીમંડળમાં ફરી સ્થાન મળ્યા બાદ તેઓ ગાંધીનગરથી વાપી પહોંચ્યા હતા. ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી, પુષ્પવર્ષા કરી અને ઢોલ-નગારા વગાડી તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ અને ભાજપના કાર્યકર્તાઓ વાપી કાર્યાલય ખાતે ઉપસ્થિત રહ્યા હતા. નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ નવા મંત્રીમંડળને આવકાર આપ્યો હતો. તેમણે જણાવ્યું કે યુવા મંત્રીઓને સ્થાન મળ્યું છે અને સરકાર બમણી તાકાત તથા જોશથી વિકાસ કરશે. તેમને નાણાં મંત્રાલય સાથે શહેરી વિકાસ મંત્રાલય પણ મળ્યું છે. તેમણે કહ્યું કે આવનારા દિવસોમાં વસ્તીના આધારે વિકાસ કાર્યો કરવામાં આવશે. મંત્રીશ્રીએ રાજ્યની જનતાને દિવાળીની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 10:56 am

રંગોળી સ્પર્ધા:દિવાળી પર્વ નિમિતે શહેરના ઘોઘા સર્કલ ખાતે કલાસંઘ દ્વારા રંગોળી સ્પર્ધા યોજાઈ, ઓપેરશન સિંદૂરની રંગોળી છવાઈ

રંગોળી સ્પર્ધામાં 100થી વધુ સ્પર્ધકોએ અવનવી ડિઝાઈનની રંગોળી બનાવી ભાવનગર કલા સંઘ દ્વારા દિપોત્સવ પર્વને વધાવવા દર વર્ષે રંગોલી નું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે દરવર્ષની જેમ આ વર્ષે પણ ભાવનગરની જાણીતી સંસ્થા કલાસંઘ દ્વારા દિપોત્સવ પર્વ અન્વયે શહેરના ઘોઘા સર્કલ ખાતે રંગોળી સ્પર્ધાનું કલરફૂલ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અવનવી ડિઝાઈનની રંગોળી દોરવામાં આવી હતી, જેમાં બે સ્પર્ધકો દ્વારા ઓપેરશન સિંદૂરની રંગોળી બનાવવામાં આવી હતી, 100થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ ભાવનગરમાં દિવાળીને આવકારવા ભાવનગર કલાસંઘ દ્વારા ઘોઘા સર્કલ ખાતે આજે ધનતેરસના દિવસે એક સુંદર રંગોળી હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ હરીફાઈ માં 4 વર્ષથી લઈ થી 72 વર્ષ સુધી ના 100 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં અલગ-અલગ વયજુથના ગ્રુપમાં ત્રણ ત્રણ કલાકારોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તથા ભાગ લેનાર દરેકને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા, અવનવી ડિઝાઈનની રંગોળી બનાવી કલાસંઘના અજયભાઈ ચૌહાણ દ્વારા જણાવ્યું હતું કે અમે છેલ્લા 18 વર્ષથી દિવાળી પર્વને લઈ રંગોળી સ્પર્ધાનું આયોજન કરીએ છીએ, જેમાં અવનવી ડીઝાઇનની રંગોળી બનાવવામાં આવી હતી, જેમાં સ્પર્ધકો દ્વારા ઓપેરશન સિંદૂર, બેટી બચાવોની થીમ, ફૂલોની, માળો, મોરની, મિકી માઉસ, ફુલોમાં ગરબી, સિક્કા વાળી, મોતીઓની અવનવી ડિઝાઈનની રંગોળી બનાવી હતી. આ સ્પર્ધા ને નિહાળવા કલાપ્રેમી ભાવનગરીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં, આ ઈવેન્ટમાં ઉમદા કૃતિ રજુ કરનારાઓને પુરસ્કારથી સન્માનિત કરી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ આયોજનને સફળ બનાવવા ભાવનગર કલા સંઘના મેમ્બર રઘુવીરસિંહ ગોહિલ, રાજુભાઈ ચૌહાણ, કૌશલ શિયાળ, ભાવિક ચૌહાણ સહિત ભાવનગર કલા સંઘના પ્રમુખ અજયભાઈ ચૌહાણના નેતૃત્વમાં આ કાર્યક્રમને સફળ બનાવવાની જહેમત ઉઠાવી હતી,

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 10:37 am

વોર્ડ નં.9માં દિવાળીએ સફાઈ કામદારોની હડતાળની હોળી:એક માત્ર વોર્ડમાં બોનસ ન ચૂકવાયાના દાવા સાથે કામદારો વોર્ડ ઓફિસ બહાર ધરણા પર બેસી ગયા

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં-9માં સફાઈનું કામ સંભાળતા કોન્ટ્રાક્ટર ગૌતમ સિક્યુરિટી એન્ડ મેન પાવર સર્વિસીસ દ્વારા સફાઈ કામદારોને દિવાળીના તહેવારનું બોનસ આપવાની ના પાડી દેવામાં આવતા કામદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને પગલે આ વોર્ડના તમામ સફાઈ કામદારો હડતાળ પર ઉતરી ગયા છે. તેમનું કહેવું છે કે રાજકોટ શહેરના તમામ વોર્ડમાં સફાઈ કામદારોને બોનસ આપવામાં આવ્યું છે તો એક માત્ર વોર્ડ નંબર 9માં જ શા માટે નહીં? ‘અમારા વોર્ડમાં જ બોનસ નથી આપ્યું’શહેરના રૈયા રોડ પર બાપા સીતારામ ચોક પાસે વોર્ડ નંબર 9ની ઓફિસે હડતાળ પર ઉતરેલા મહિલા આગેવાન ચેતનાબેન ચુડાસમાએ જણાવ્યું હતું કે, શહેરના તમામ વોર્ડના સફાઈ કામદારોને દિવાળીનું બોનસ ચૂકવવામાં આવ્યું છે તો એકમાત્ર વોર્ડ નંબર 9માં જ બોનસ ચૂકવવામાં ન આવતા અમારી સાથે અન્યાય કરવામાં આવ્યો છે. દિલ્હીથી જ્યારે ટીમ તપાસ માટે આવે ત્યારે મિત્રમંડળવાળા અમારી પાસે ધૂળ સાફ કરાવે છે. જ્યારે આ બાબતે કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા એવું કહેવામાં આવે છે કે તમારા પગારમાં બોનસ જમા કરી આપ્યો છે તો પગાર સ્લીપ તો આપો. ન્યાય ના મળે ત્યાં સુધી હડતાળનું એલાનકોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા શહેરના વોર્ડ નંબર 9ના સફાઈ કામદારોને બોનસ ચૂકવવામાં ન આવતા તમામ સફાઈ કામદારોની દિવાળી બગડી છે અને જીવનનિર્વાહ પર અસર થઈ છે. પોતાના હક્ક માટે લડત આપતા તમામ સફાઈ કામદારો ન્યાય ન મળે ત્યાં સુધી હડતાળ પર ઉતરી ગયા છે. જ્યાં સુધી આ બાબતે નિર્ણય ન આવે ત્યાં સુધી હડતાળ પર બેસવાનું એલાન કરાયુ છે.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 10:36 am

વડોદરામાં સૌ પ્રથમવાર AR ટેક્નોલોજીથી બ્રેસ્ટ કેન્સરનું ઓપરેશન:કીમોથેરાપી અને ટાર્ગેટેડ ટ્રીટમેન્ટના કારણે ગાંઠ કાઢવાનું ઓપરેશન જટીલ બન્યું હતું

બ્રેસ્ટ કૅન્સર અવેરનેસ મહિના દરમિયાન એસ.એસ.જી. હોસ્પિટલ, વડોદરામાં ડૉક્ટરોએ ઓગમેન્ટેડ રિયાલિટી (AR) ટેકનોલોજી અને Meta VR હેડસેટની મદદથી સ્તન કૅન્સરનું ઓપરેશન સફળતાપૂર્વક પૂરું કર્યું. આ પ્રકારનો પ્રયાસ શહેરમાં પ્રથમ વખત કરવામાં આવ્યો છે. આ સફળ ઓપરેશન 49 વર્ષીય મહિલા દર્દીને ઓપરેશન પહેલા કીમોથેરાપી અને ટાર્ગેટેડ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. સારવાર પછી સ્તનમાં કૅન્સરની ગાંઠ હાથથી અનુભવી શકાય તેવી રહી નહોતી, જેના કારણે ખાલી ગાંઠ કાઢવાનું ઓપરેશન કરવું સહેલું નહતું. ઓગમેન્ટેડ રિયાલિટી ટેક્નોલોજીનો ઉપયોગઓપરેશન વધુ સારી રીતે કરવા માટે સર્જન ટીમે Meta VR હેડસેટ વડે દર્દીની છાતીનો 3D મોડેલ તૈયાર કર્યો હતો, જેમાં દર્દીની CT અને MRI સ્કેનને જોડીને 3D મોડેલ બનાવ્યો હતો. આ મોડેલ Meta VR હેડસેટ દ્વારા સીધો દર્દીના શરીર પર પ્રોજેક્ટ કરવામાં આવ્યો, જેના દ્વારા કૅન્સરની ગાંઠમાં પહેલાં મૂકાયેલ નાનું મેટલ ક્લિપ રિયલ ટાઈમ માં દેખાયું અને સર્જન ટીમને ચીરાની જગ્યા વધુ ચોક્કસ રીતે નક્કી કરી શકવામાં મદદ મળી હતી. આ ટેકનોલોજીની મદદથી માત્ર 2 સેન્ટીમીટરનાં ચીરાથી ગાંઠ સફળતાપૂર્વક દૂર કરી સ્તનનો આકાર જાળવી રાખવામાં આવ્યો હતો. ઓપરેશન પહેલાં દર્દીના સગાને Meta VR હેડસેટ વડે 3D મોડેલ બતાવવામાં આવ્યું હતું, જેથી તેમને ઓપરેશન કેવી રીતે થવાનું છે તે સમજાયું અને વિશ્વાસ કેળવ્યો હતો. આ અંગે કન્સલ્ટન્ટ સર્જિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. શિવાંગ શુક્લએ જણાવ્યું કે, આ ટેકનોલોજી હજી શરૂઆતના તબક્કે છે, પરંતુ તે સર્જરીને વધુ ચોક્કસ બનાવે છે અને દર્દીની સાજા થવાની પ્રક્રિયા ઝડપથી થાય તે માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ ઓપરેશન ડૉ. શિવાંગ શુક્લ અને ડૉ. નિસર્ગ શાહએ મળીને કર્યું હતું, જેમા જાજલ મેડિકલ એ Meta VR હેડસેટ અને ઇમેજિંગ સપોર્ટ પૂરો પાડ્યો હતો. દર્દી ઓપરેશન પછી સારી રીતે સાજા થયા અને પાંચ દિવસમાં રજા અપાઈ હતી. હાલ તેઓ સારવાર બાદની ફોલો-અપ પ્રક્રિયામાં છે. ડૉ. રંજન અય્યર, સુપરિન્ટેન્ડન્ટ, એસ.એસ.જી. હોસ્પિટલ, એ જણાવ્યું કે એસ.એસ.જી. હોસ્પિટલમાં અમારું ધ્યેય દરેક દર્દીને આધુનિક અને શ્રેષ્ઠ સારવાર પહોંચાડવાનું છે. અમારે માટે મહત્વનું છે કે એડવાન્સ્ડ સારવાર સામાન્ય જનતાને પણ સરળ અને પરવડે તેવી બને. અમારી હોસ્પિટલમાં કૅન્સર સ્ક્રીનિંગ, નિદાન, સર્જરી, કીમોથેરાપી, રેડિયેશન અને રિહેબિલિટેશન — બધી સુવિધાઓ એક જ જગ્યા પર ઉપલબ્ધ છે. બ્રેસ્ટ કૅન્સર અવેરનેસ મહિના ને ધ્યાનમાં રાખીને ડૉ. શુક્લ એ જણાવ્યું કે 40 વર્ષ પછી દર વર્ષે એક વખત મેમોગ્રાફી કરાવવી ખૂબ જ જરૂરી છે, જેથી કૅન્સર વહેલા તબક્કે નિદાન થઈ શકે. જો કુટુંબમાં સ્તન કૅન્સરના કેસ હોય, તો તમારા ડૉક્ટર સાથે ખાસ સ્ક્રીનિંગ વિશે ચર્ચા કરો.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 10:34 am

દિવાળીમાં ઘરે જવા 14 કલાક લાઈનમાં ઉભા રહેવા મજબૂર, VIDEO:સુરતથી ઉત્તર ભારતની દરરોજની 8 ટ્રેનો ચાલતી હોવા છતા જગ્યા ન મળતા લોકો નિરાશ, હૈયાવરાળ ઠાલવી

દિવાળી, છઠપૂજા અને બિહાર વિધાનસભા ચૂંટણીના પગલે સુરતમાં કામ કરતા લાખો શ્રમિકોએ છેલ્લા અઠવાડિયાથી વતનની વાટ પકડી છે. પેસેન્જરોના ધસારાના પગલે રેલવે વિભાગે તમામ સુવિધા કરી હોવાનો દાવો કર્યો છે. પરંતુ, પેસેન્જરનું માનીએ તો, પીવાના પાણીની પણ પૂરતી વ્યવસ્થા નથી. 12-14 કલાક લાઈનમાં ઉભા રહેવા છતા ટ્રેનોમાં જગ્યા ન મળતી હોવાનું પેસેન્જર જણાવી રહ્યા છે. રેલવે વિભાગે મુસાફરો માટે પેસેન્જર હોલ્ડીંગ એરિયા બનાવ્યો છે પરંતુ, તે હાઉસફૂલ થઈ જતા પેસેન્જર ખુલ્લામાં રસ્તા પર બેસી ટ્રેનની પ્રતીક્ષા કરતા જોવા મળી રહ્યા છે. ભાસ્કરે ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો. ઉત્તર ભારતમાં જવા માટે ઉધના રેલવે સ્ટેશન પર પેસેન્જરની દોઢ કિમી લાંબી લાઈનઉધના ખાતે બનાવવામાં આવેલા બે પ્રતીક્ષા ગૃહો સંપૂર્ણપણે ભરાઈ ગયા છે, જેના કારણે લગભગ દોઢ કિલોમીટર લાંબી લાઈન રેલવે સ્ટેશનની બહાર સુધી જોવા મળી રહી છે. કલાકોથી લાઈનમાં ઊભેલા યાત્રીઓ માટે બેસવાની પણ કોઈ જગ્યા ન હોવાથી તેઓ જમીન પર બેસવા મજબૂર બન્યા છે. યાત્રીઓના જણાવ્યા મુજબ, અહીં પાણી પીવાની પણ પૂરતી સુવિધા નથી. રવિવારે વધારે ભીડ રહવાને સંભાવના થી રેલવે વિભાગ હાઈ એલર્ટ પર છે. આ સમાચાર પણ વાંચોઃ સુરત ખાલી થવા લાગ્યું, ટ્રેનમાં પગ મૂકવાની જગ્યા નથી કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ જગ્યા ન મળતા નિરાશાયાત્રીઓનો મુખ્ય રંજ એ છે કે, કલાકોની રાહ જોયા પછી જ્યારે ટ્રેન આવે છે, ત્યારે લાઈનમાં ઊભા રહેલા અનેક લોકો માત્ર જોતા જ રહી જાય છે, કારણ કે ટ્રેન સંપૂર્ણપણે ભરાઈ ગઈ હોવાનું જણાય છે. એક બાદ એક ટ્રેનની રાહ જોઈ રહેલા હજારો યાત્રીઓમાંથી અનેકને ફૂલ ટ્રેનના કારણે પાછળ ધકેલાઈ જવું પડે છે, જેનાથી રેલવે સ્ટેશનની બહાર ઊભેલા યાત્રીઓમાં હતાશાનો માહોલ છે. ખાસ કરીને મહિલા યાત્રીઓ, જેઓ પોતાના બાળકો સાથે આવી છે, તેમને શૌચાલય સહિતની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.મહિલાઓને ભય છે કે જો તેઓ લાઈનમાંથી બહાર નીકળશે, તો આ લાંબી લાઈનમાં તેમને ફરી જગ્યા નહીં મળે. પેસેન્જરોની અસુવિધાની ફરિયાદો વચ્ચે રેલવેતંત્રનો સબસલામતનો દાવો!બીજી તરફ, રેલવે વિભાગના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અભયસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે, રેલવે પર યાત્રીઓને કોઈ હાલાકી ન થાય તે માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. પંખા, પાણી સહિતની તમામ વ્યવસ્થા છે. તેમણે સ્વીકાર્યું કે ભીડ વધારે છે તેમ છતાં મેનેજમેન્ટ ચાલી રહ્યું છે અને લાઈનમાં ઊભેલા લોકોને ટ્રેનમાં મોકલવામાં આવી રહ્યા છે. તેમણે એમ પણ જણાવ્યું કે સ્પેશિયલ 8 ટ્રેનો દરરોજ રવાના થાય છે અને એડવાન્સ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. હોલ્ડિંગ એરિયાની બહારની ભીડને એક-એક કરીને અંદર મોકલવામાં આવે છે. ત્રણ દિવસમાં જ અંદાજિત 50 હજાર યાત્રિકો ઉત્તર ભારત તરફ જશેસંખ્યાબળની દ્રષ્ટિએ શુક્રવારે એક જ દિવસમાં 16 હજાર લોકો ટ્રેન દ્વારા પોતાના વતન રવાના થયા હતા, અને શનિવારે 20,000 લોકો ઉત્તર ભારત તરફ રવાના થવાની શક્યતા છે, જે દર્શાવે છે કે યાત્રીઓની સંખ્યા સામે ટ્રેનોની ઉપલબ્ધતા અને વ્યવસ્થા હજી પણ ઓછી પડી રહી છે. ટ્રેન ફૂલ થવાની સમસ્યાને કારણે હજારો યાત્રીઓની મુશ્કેલી યથાવત છે. આ સમાચાર પણ વાંચોઃસુરત-ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ પશ્ચિમ રેલવે દ્વારા દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન ઉત્તર ભારત જતા મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને ઉધના અને વલસાડ સ્ટેશનો પરથી અનારક્ષિત ‘પૂજા સ્પેશિયલ ટ્રેનો’ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનો 14થી 29 ઓક્ટોબર સુધી દરરોજ ઉત્તરપ્રદેશ અને બિહારનાં વિવિધ શહેરો માટે દોડાવાશે, જેનાથી મુસાફરોને સસ્તી અને સુવિધાજનક મુસાફરીનો વિકલ્પ મળશે. સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ શરૂ થઈ ગઈ છે. આ ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા પ્લેટફોર્મ ટિકિટ વેચાણના પ્રતિબંધ બાદ હવે 15 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ઉધના સ્ટેશન પરથી પાર્સલ બુકિંગ અને હેન્ડલિંગ પર અસ્થાયી રોક મૂકવામાં આવી છે. ઉધના રેલવે સ્ટેશન અને સુરત રેલવે સ્ટેશન પર પણ મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 10:09 am

ભરૂચમાં દુકાનમાંથી ઝેરી રસેલ વાયપરનું રેસ્ક્યુ:જીવદયા પ્રેમીઓએ સફળતાપૂર્વક પકડી જંગલમાં છોડ્યો

ભરૂચમાં ગતરોજ રાત્રે લગભગ 11.45 કલાકે મકતમપુર રોડ પર માટલાં અને કુંડીનો વેપાર કરતા એક વેપારીની દુકાનમાં અચાનક સાપ દેખાતા ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ વેપારીએ જીવદયા પ્રેમીઓને માહિતી આપી હતી. માહિતી મળતા જ કસક વિસ્તારમાં રહેતા જીવદયા પ્રેમી પંકજભાઈ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જણાયું હતું કે દુકાનમાં દેખાયેલો સાપ ગુજરાતનો સૌથી ઝેરી સાપ ગણાતો રસેલ વાયપર હતો. પરિસ્થિતિની ગંભીરતા જોતા પંકજભાઈએ સાપ પકડવા માટે હિરેન શાહ, પ્રતિકભાઈ અને અજયભાઈને બોલાવી રેસ્ક્યૂની કામગીરી શરૂ કરી હતી. અંદાજે અડધા કલાકની ભારે મહેનત બાદ ટીમે રસેલ વાયપર સાપને સલામત રીતે પકડીને જંગલ વિસ્તારમાં મુક્ત કર્યો હતો.સાપ પકડાતા દુકાનદાર તેમજ આસપાસના વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 9:59 am

સુરેન્દ્રનગરમાં 80 હજારના ગાંજાના છોડ સાથે એક ઝડપાયો:SOG એ પીપરાળી ગામમાંથી 25 છોડ જપ્ત કર્યા

સુરેન્દ્રનગર SOG એ ગેરકાયદેસર ગાંજાના છોડના વાવેતર બદલ એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે પીપરાળી ગામમાંથી 25 લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા છે, જેનું વજન 8 કિલોગ્રામ અને કિંમત 80,000 રૂપિયા આંકવામાં આવી છે. આરોપીની ઓળખ દેવશીભાઈ ગોબરભાઈ સાકરીયા (ઉંમર 60, ધંધો ખેતી) તરીકે થઈ છે, જે પીપરાળી, તા. ચોટીલા, જિ. સુરેન્દ્રનગરના રહેવાસી છે. પોલીસે તેના રહેણાંક મકાનના ફળિયામાંથી આ ગાંજાના છોડ શોધી કાઢ્યા હતા. પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં NDPS ગુનાઓ શોધી કાઢવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે PSI આર.જે. ગોહિલને બાતમી મળી હતી. બાતમીના આધારે SOG ટીમે દરોડો પાડી દેવશીભાઈ સાકરીયાને પાસ-પરમિટ વગર ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર અને વેચાણ કરવા બદલ ઝડપી પાડ્યા હતા. આરોપી વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં PI બી.એચ. શીંગરખીયા, PSI એન.એ. રાયમા, PSI આર.જે. ગોહીલ, ASI અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ, HC અશ્વિનભાઇ ઠારણભાઇ, HC અનિરૂધ્ધસિંહ અભેસંગભાઇ ખેર, HC અરવિંદસિંહ દિલુભા, HC અમરકુમાર કનુભા, PC કુલદિપસિંહ સામંતસિંહ ગોહીલ, PC સાહીલભાઈ સેલત, PC મીતભાઇ મુજપરા, HC જગમાલભાઈ અંબારામભાઇ અને PC અશ્વિનભાઈ વાઘેલા સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 9:58 am

પારડીમાં જમીન વિવાદે આધેડ પર ધારીયા હુમલો:15 વર્ષ જૂની અદાવતમાં ગંભીર ઇજા, હોસ્પિટલમાં દાખલ

પારડી તાલુકાના સોનવાડા ગામમાં 15 વર્ષ જૂના જમીન વિવાદને કારણે એક આધેડ પર ધારીયા વડે હુમલો થયો છે. આ હુમલામાં આધેડ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે પારડીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, આ ઘટના સોનવાડા ગામના ઉગમણું ફળીયામાં સવારે આશરે પોણા દસ વાગ્યે બની હતી. ફરિયાદી મહિલા પોતાના પિતા અને પરિવાર સાથે ઘરકામમાં વ્યસ્ત હતી. તેઓ પોતાની બહેન સાથે ખેતરમાં ભાત જોવા ગયા ત્યારે પિતાની ચીસો સાંભળીને દોડી આવ્યા હતા.ત્યાં તેમણે જોયું કે પાડોશી રમેશભાઈ કકિાભાઈ પટેલ તેમના પિતા પર ધારીયા વડે હુમલો કરી રહ્યા હતા. આ હુમલામાં પીડિતને બંને પગના નળાના ભાગે, જમણા હાથમાં અને ચહેરાના ડાબા ગાલ પર ગંભીર ઇજાઓ થઈ હતી.પાડોશી મહિલા અને પરિવારજનોની મદદથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. પીડિતને મોહનદયાળ હોસ્પિટલ, પારડી ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર, આ હુમલો 15 વર્ષ જૂના જમીન વિવાદને કારણે થયો છે. અગાઉ થયેલી જમીન વેચાણ પ્રક્રિયામાં હુમલાખોર અસંતુષ્ટ હતો અને તે જ અદાવત રાખી તેણે આ હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.પારડી પોલીસે આરોપી રમેશભાઈ કકિાભાઈ પટેલ વિરુદ્ધ પારડી પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 9:57 am

અમીરગઢ પોલીસે 3 લાખનો ગાંજો ઝડપ્યો:રાજસ્થાનથી આવતી બસમાંથી 30 કિલો જથ્થા સાથે એક ઝડપાયો

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 3 લાખની કિંમતના આશરે 30 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દિવાળીના તહેવારો દરમિયાન ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે હાથ ધરવામાં આવેલા સઘન ચેકિંગનો ભાગ હતી.પોલીસ ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશી રહેલી એક મુસાફર બસને રોકવામાં આવી હતી. બસની તલાશી લેતા, તેમાં રાખેલા ચાર થેલામાંથી આશરે 30 કિલોગ્રામથી વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.પ્રાથમિક પૂછપરછમાં કોઈ મુસાફરે થેલાઓનો કબૂલાત ન કરતા, પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. સઘન પૂછપરછ બાદ રાજસ્થાનના આબુરોડ તાલુકાના ઓર ગામના એક વ્યક્તિએ આ ગાંજો પોતાનો હોવાનું કબૂલ્યું હતું.અમીરગઢ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે ગાંજાનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 9:56 am

ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું:ભાવનગર જિલ્લામાં પીવીસી કાર્બાઇડ ગન્સના ઉપયોગ, ખરીદ-વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ

દિવાળી તહેવારને ધ્યાનમાં રાખી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી. ગોવાણી દ્વારા ચાઇનીઝ પીવીસી કાર્બાઇડ ગન્સના ઉપયોગ, ખરીદ, વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ ફરમાવતા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કાર્બાઇડ ગન્સથી ઉત્પન્ન થતાં ગેસથી આંખોની કીકીને નુકસાન-બળતરાની અસરદિવાળીના તહેવારમાં બજારમાં મળતી પીવીસી કાર્બાઇડ ગન્સમાં રહેલ કાર્બાઇડ પદાર્થના કારણે ઉત્પન્ન થતો એસીટીલીન ગેસ આંખોમાં બળતરા, કીકીને નુકસાન તેમજ કાયમી અંધત્વ જેવી અસર સર્જી શકે છે. આ પ્રકારના બનાવોના અહેવાલો સમાચારપત્રો, ન્યૂઝ ચેનલો તથા સોશિયલ મીડિયા પર પ્રકાશિત થતાં, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ભાવનગર દ્વારા જિલ્લાના હિતમાં પ્રતિબંધ માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. પીવીસી કાર્બાઇડ ગન્સના ખરીદ,વેચાણ, સંગ્રહ અને ઉપયોગ પર પ્રતિબંધતે અનુસંધાને જિલ્લા મેજિસ્ટ્રેટએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163 (1) હેઠળની સત્તાનો ઉપયોગ કરીને તા.17 ઓક્ટોબરથી 5 નવેમ્બર દેવ દિવાળી સુધીના સમયગાળામાં ભાવનગર જિલ્લાના હદ વિસ્તારમાં પીવીસી કાર્બાઇડ ગન્સના ખરીદ,વેચાણ, સંગ્રહ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-223 મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે. જાહેરનામાના અમલ માટે હેડ કોન્સ્ટેબલથી ઉપરના અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે. હાનિકારક ચાઇનીઝ ફટાકડાથી દૂર રહેવા અપીલજિલ્લા પ્રશાસન દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તહેવારની ઉજવણી દરમિયાન આવા હાનિકારક ચાઇનીઝ ફટાકડાઓથી દૂર રહી, સુરક્ષિત અને સ્વસ્થ દિવાળી ઉજવવી.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 9:43 am

ગાંધીનગરના ખેડૂત સાથે લાખોની છેતરપિંડી:અમેરિકા મોકલવાના નામે એજન્ટોએ દીકરા-પુત્રવધૂને અલગ-અલગ દેશોમાં ફેરવી હાથ અઘ્ધર કર્યા

ગાંધીનગરના સરઢવ ગામના એક ખેડૂતના દીકરા અને પુત્રવધૂને રૂ .1.20 કરોડમાં કાયદેસર રીતે અમેરિકામાં નોકરી સાથે સેટલ કરાવવાની લાલચ આપી મહિલા સહિત ચાર એજન્ટોએ મુંબઈ, બાલી અને થાઇલેન્ડ મોકલીને દોઢ મહિના સુધી ગોળગોળ ફેરવી 40 લાખનું ફુલેકું ફેરવવામાં આવ્યું હોવાની ફરિયાદ પેથાપુર પોલીસ મથકે નોંધાઈ છે. રૂ. 1.20 કરોડમાં અમેરિકા મોકલવાનું નક્કી કર્યું હતુંગાંધીનગરના સરઢવ ગામના વચલોવાસમાં રહેતા ખેડૂત જશવંતભાઈ બળદેવભાઈ પટેલના એમ. કોમ સુધી ભણેલા 25 વર્ષીય દીકરા સાગરને અમેરિકા જવું હતું. જેથી જશવંતભાઈ એજન્ટની શોધમાં હતા. દરમિયાન મે-2024 ના બીજા અઠવાડિયામાં સાગરની મુલાકાત એજન્ટ સંજયભાઈ ચંડીદાસ ગઢવી(રહે. સ્વાગત એપાર્ટમેન્ટ, સરગાસણ), નિલેશ શામળદાસ પટેલ(રહે. શુભ રેસીડેન્સી, પ્રાંતિજ બસ સ્ટેન્ડ સામે), પિનાકીન ભગુભાઈ પટેલ અને તેની પત્ની નીલમ (બંને રહે, રાધે બંગલો, જનતા નગર, તલોદ) સાથે થઈ હતી. એ વખતે એજન્ટ પટેલ દંપતીએ સમાજના હોવાનું કહીને સાગરની અને તેની પત્નીને પણ અમેરિકા મોકલી આપવાની વાત કરી વિશ્વાસ કેળવ્યો હતો. અને જે પેટે રૂ.1.20 કરોડ નક્કી કર્યા હતા. એટલે જશવંતભાઈએ ઉછીના અને પોતાની બચતમાંથી પૈસા ભેગા કરી તા. 21/5/2024 ના રોજ સંજય ગઢવી, નિલેશ પટેલ અને પિનાકીન પટેલને રોકડા 60 લાખ રોકડા આપ્યા હતા. બાદમાં સાગર અને તેની પત્નીને એજન્ટો એરપોર્ટ લઈ ગયા હતા. જ્યાં સંજય ગઢવીએ દંપતીને પહેલા મુંબઈ લઈ જઈ ત્યાથી અમેરીકા ન્યુયોર્કમા ઉતારી બધી વ્યવસ્થા હોવાની ખાત્રી આપી હતી. બાલી, વિયેતનામ અને થાઈલેન્ડમાં દોઢ મહિનો ફેરવી રાખ્યામુંબઈમાં દસ દિવસ રોકાણ કરાવીને બાલી ,વિયેતનામ અને થાઇલેન્ડ દોઢ મહિના સુધી ફેરવી રાખ્યા હતા. આ દરમિયાન દીકરા સાથે વાતચીત બંધ થઈ જતાં ચિંતાતુર જશવંતભાઈએ એજન્ટો નો સંપર્ક કરતા નિલેશ અને પિનાકીને વિઝા થયા નહીં હોવાથી બંન્નેને અલગ અલગ દેશોમાં ફેરવી રહ્યા હોવાનું કહી અમેરિકા ના વિઝા થઈ ગયાનો દાવો કરી બીજા 15 લાખ પડાવ્યા હતા. પરંતુ પૈસા આપ્યા પછી પણ દીકરો અને પુત્રવધુ અમેરિકા પહોંચ્યા ન હતા. આખરે દીકરા-પુત્રવધૂને પરત લાવવા માટે જશવંતભાઈએ થાઇલેન્ડથી અમદાવાદ ઓનલાઇન ટિકિટ બુક કરાવવા બંને પાછા આવ્યા હતા. જોકે તેઓ પરત આવ્યા બાદ એજન્ટોએ વધુ 10 લાખ પડાવી પાસપોર્ટ આપ્યા હતા. બાદમાં જશવંત ભાઈએ વિઝાના કામ પેટે આપેલા રૂપિયા પરત માંગતા એજન્ટોએ ટુકડે-ટુકડે 45 લાખ પરત કર્યા હતા. અને બાકીના 40 લાખ માટે હાથ અઘ્ધર કરી દઈ ફોન બંધ કરી દીધા હતા. આ અંગે પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 9:29 am

રાપરમાં 28 ICDS વર્કર-કાર્યકર બહેનોને:નિવૃત્તિ ગ્રેજ્યુએટીના ચેકનું વિતરણ કરાયું

આજરોજ રાપર નગરપાલિકાના સભાખંડ ખાતે રાપર તાલુકામાં ફરજ બજાવતી 28 ICDS વર્કર અને કાર્યકર બહેનોને નિવૃત્તિ ગ્રેજ્યુએટીના ચેકનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડેના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ ચેક વિતરણ કાર્યક્રમમાં નગરપાલિકાના ચીફ ઓફિસર તરુણદાન ગઢવી, સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી (CDPO) કાજલબેન પ્રજાપતિ, મગનભાઈ ચૌહાણ, જીતેન્દ્ર સિંધવ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નિવૃત્ત થયેલી બહેનોને ગ્રેજ્યુએટીની રકમના ચેક આપવામાં આવ્યા હતા. CDPO કાજલબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, રાપર તાલુકામાં ICDS હેઠળ ફરજ બજાવતી 28 બહેનો નિવૃત્ત થતાં તેમને ગ્રેજ્યુએટીના ચેક સુપરત કરાયા છે. તેમણે નિવૃત્ત થનાર બહેનોને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 9:29 am

હત્યા કેસના આરોપીને સજામાફીનો ઈન્કાર:રાજકોટ કોર્ટે 2010માં આજીવન કેદની સજા ફટકારી હતી, પોતાના મૃત જાહેર કરવા તેના જ જેવા વ્યકિતની હત્યા કરી નાખી'તી

રાજકોટ કોર્ટે વર્ષ 2010માં ચુકાદો આપતા આરોપી વિમલ રામાણી અને તેની પ્રેમિકાને હત્યાના કેસમાં આજીવન કારાવાસની સજા ફટકારી હતી. જેના માટે કોર્ટે 58 સાહેદો અને પુરાવાઓ તપાસ્યા હતા. જેમાં વિમલ રામાણીએ જેલમાં 15 વર્ષ કાપતા બાકીની સજા માફ કરવા રાજ્ય સરકારને અરજી કરી હતી. જો કે રાજ્ય સરકારે તેની અરજી નકારી નાખી હતી. સરકારના નિર્ણયને કેદી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ગુજરાત હાઇકોર્ટે પણ સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. ફિલ્મી સ્ટાઈલમાં હત્યાનો મામલોકેસને વિગતે જોતા આરોપી વિમલ રામાણીના ભાઈએ જ પોલીસ ફરિયાદ આપી હતી. જે મુજબ ફરિયાદી અને વિમલ રામાણી પોતાની ઇમિટેશન જેવલરીની ફેક્ટરીથી ઘરે આવવા નીકળ્યા હતા. ત્યારે વિમલ રામાણી એક ધાર્મિક કામથી ફેક્ટરીમાં જવાનું છે. તેમ કહીને ફેક્ટરીમાં પરત ફર્યો હતો. પરંતુ ઘણા સમય સુધી ભાઈ પાછો ન આવતા ફરિયાદી ભાઈ ફેક્ટરીએ ગયો હતો. જે ખોલતા ત્યાં ધુમાડો હતો અને એક વ્યક્તિને ગળું વાયરથી દાબેલું હતું, તેમજ તેની બળેલી લાશ પડી હતી. સમગ્ર ઘટના પાછલ લગ્ન અને પ્રેમસંબંધ કારણભૂતજે સંદર્ભે ફરિયાદીએ તેના ભાઈ વિમલ રામાણીની હત્યા થઈ હોવાની પોલીસ ફરિયાદ આપી હતી. પોલીસ તપાસવા બહાર આવ્યું હતું કે આ સંપૂર્ણ ઘટના લગ્ન બાહ્ય પ્રેમ સંબંધનું પરિણામ હતી. જેમાં DNS તપાસમાં બહાર આવ્યું હતી કે મૃતક વ્યક્તિ વિમલ રામાણી નહીં, પરંતુ એક બાબુ સલાટ નામના વ્યક્તિની હતી. જેના ખોવાયાની ફરિયાદ તેના પરિવારના વ્યક્તિએ આપી હતી. વિમલ રામાણી અને એક મહિલા બંનેના લગ્ન થઈ ગયા હોવા છત્તા, તેમના લગ્ન બાહ્ય અનૈતિક સંબંધો હતા. પરંતુ તેમને કોઈ ઓળખી શકે નહીં અને દુનિયાથી અલગ થઈને રહેવા માટે તેમને એક પ્લાન કર્યો હતો. જે મુજબ વિમલ રામાણી જેવા જ શરીરનો બાંધો ધરાવતા વ્યક્તિને શોધીને તેની હત્યા કરીને તેનું મોઢું વિક્ષિપ્ત કરી નાખવાનું હતું. જેથી લોકોને લાગે કે વિમલ રામાણી મૃત્યુ પામ્યો છે. આમ તે અને તેની પ્રેમિકા અલગ શહેરમાં એક નવી જિંદગીની શરૂઆત કરી શકે. આથી આરોપીઓએ પ્લાન પ્રમાણે કામ કર્યું હતું અને બાબુ સલાટની હત્યા કરી નાખી હતી. તેનું મોઢું કુહાડીથી વિક્ષિપ્ત કરી નાખ્યું હતું અને ડેડ બોડી સળગાવી નાખી હતી. બંને ગુન્હેગારોએ સજા પડ્યા બાદ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ પણ દાખલ કરી હતી. જો કે હાઇકોર્ટે તે અપીલ નકારી નાખી હતી. સમગ્ર ઘટના ત્યારે બહાર આવી હતી જ્યારે વિમલ રામાણીનો ફોટો દિલ્હીમાં એક મહિલા સાથે સામે આવ્યો હતો. વિમલનું કહેવું હતું કે મહિલા રાજકોટની હોવાથી તેને મદદ કરીને તેને સાથે રાખતો હતો. જો કે આ સંપૂર્ણ બાબત ખોટી હોવાનું પ્રોસિક્યુશનું કહેવું હતું. 15 વર્ષ જેલમાં કાપ્યા બાદ પણ વિમલ રામાણીનો રેર કેસ જોતા તેની બાકી રહેલી સજા માફ કરવાની અરજી સરકારે નકારી નાખી હતી. આ માટે ગૃહ વિભાગે પોલીસ કમિશનર ,જિલ્લા મેજિસ્ટ્રેટ અને એડિશનલ સેશન્સ જજની સલાહ માંગી હતી. જેઓએ વિમલ રામાણીની સજા માફી અંગે નકારાત્મક અભિપ્રાય આપ્યો હતો. હાઇકોર્ટે પણ સરકારના નિર્ણય યોગ્ય ઠેરવીને અરજદારની અપીલ ફગાવી નાખી હતી.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 9:24 am

રંગોળીના રંગે રંગાયો રેસકોર્સ રિંગ રોડ:1000થી વધુ કલાકારોએ 500થી વધુ રંગોળી બનાવી; ઓપરેશન સિંદૂર, ભારત માતાના દર્શન કરતા PM મોદીની રંગોળી આકર્ષણનું કેન્દ્ર

રાજકોટ શહેરની એક આગવી ઓળખ રહી છે તેમાં પણ કોઈ પણ તહેવાર કે ઉત્સવ હોય એટલે તેને રંગેચંગે મનાવવા માટે રાજકોટવાસીઓ હરહંમેશ તત્પર રહેતા હોય છે. રોશની અને ઉજાસના મહાપર્વ દિવાળીને પણ રાજકોટવાસીઓ રંગેચંગે ઉજવે છે. દિવાળીના પર્વ પર લોકો પોતાના આંગણે રંગોળી કરતા હોય છે અને રંગોળીનું પણ અનેરું મહત્વ છે. ત્યારે આખાયે રાજકોટ શહેરનું આંગણું એટલે રેસકોર્સ રિંગ રોડ અને આ રેસકોર્સ રિંગ રોડ ફરતે ચિત્રનગરીના કલાકારો તેમજ રાજકોટની જનતા દ્વારા મહાનગરપાલિકા આયોજિત રંગોળી સ્પર્ધામાં ભાગ લઇ 1000 જેટલા સ્પર્ધકોએ 500થી વધુ રંગબેરંગી રંગોળી બનાવી વાતાવરણ રંગીન કરી દીધું છે. રંગોળી સ્પર્ધામાં ખાસ ઓપરેશન સિંદૂર, ચાલુ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ છાવાનું પોસ્ટર, ભારત માતાના દર્શન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાધાકૃષ્ણ, હનુમાનજી અને મેરા નામ જોકર ફેમ રાજ કપૂરનું આબેહૂબ પોસ્ટર આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. દિવાળી કાર્નિવલનો રંગબેરંગી પ્રારંભરાજકોટમાં દિવાળીનાં પર્વનો ખરો આનંદ શરૂ થઇ ચૂક્યો છે. રાજકોટ શહેરના દરેક લોકો દિવાળીનાં પર્વને આનંદ, ઉમંગ અને ઉલ્લાસ સાથે ઉજવી શકે તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વાર દિવાળી કાર્નિવલનો ધમાકેદાર પ્રારંભ 16 ઓક્ટોબરને ગુરુવારથી કરી દેવામાં આવ્યો છે. રેસકોર્સ રિંગ રોડ પર રંગોળી સ્પર્ધાનું આયોજનશહેરનાં મુખ્ય હાર્દ સમા રેસકોર્સ રિંગ રોડ પર આ દિવાળી કાર્નિવલ ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં ગઇકાલે શુક્રવારે ચિત્રનગરી ટ્રસ્ટ સાથે મળી મનપા દ્વારા સતત આઠમી વખત રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંદાજિત 2 કિમીમાં 1,000 સ્પર્ધકોએ 500 રંગોળી તૈયાર કરીઅંદાજિત 2 કિલોમીટર વિસ્તારમાં રેસકોર્સ રિંગ રોડ ફરતે રંગોળી સ્પર્ધામાં 1000 જેટલા સ્પર્ધકોએ 500 જેટલી રંગોળી તૈયાર કરી છે. રંગોળી સ્પર્ધા સાંજે 4થી રાત્રે 11.30 વાગ્યા સુધી રાખવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે આ વર્ષે રંગોળીમાં ઓપરેશન સિંદૂર, ભગવાન શ્રીકૃષ્ણ, રાધાકૃષ્ણ, હનુમાનજી, પ્રેમાનંદ મહારાજ, તેમજ ભારત માતાના દર્શન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 15 ફૂટની રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ જ રીતે ચાલુ વર્ષે રેકોર્ડબ્રેક કમાણી કરનાર ફિલ્મ છાવાનું પોસ્ટર, મેરા નામ જોકર ફેમ રાજ કપૂરનું પોસ્ટર, ભારતની કોયલ સ્વ. લતા મંગેશકરનું પોસ્ટર સહિત 500 જેટલી રંગોળી કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવી હતી. ઓપરેશન સિંદૂરને ધર્મ સાથે જોડી 15 ફૂટની રંગોળી તૈયાર કરીરાજકોટની ચાર દીકરીઓ દ્વારા ઓપરેશન સિંદૂરને ધર્મ સાથે જોડી એક અનોખી 15 ફૂટની લાંબી રંગોળી તૈયાર કરવામાં આવી હતી. જેમાં મંદિર, ફાઈટર પ્લેન, ભગવાન શ્રીરામ, અને પાકિસ્તાનને ધૂળ ચટાળતા ભારતના જવાનોને કંડારવામાં આવ્યા છે. આ રંગોળીમાં એક સ્લોગન પણ લખવામાં આવ્યું છે કે ‘ધર્મ પૂછા થા ના એ હે હમારા ધર્મ’ લખી નીચે સેનાના જવાનો પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર માર્યાનું ચિત્ર દર્શાવવા આવ્યું છે. બે કેટેગરીમાં રંગોળી સ્પર્ધાનું આયોજનચિત્રનગરી ટ્રસ્ટના ટ્રસ્ટી મૌલિક ગોટેચાએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ-ચિત્રનગરીના સહયોગથી દિવાળી કાર્નિવલ અંતર્ગત રંગોળી સ્પર્ધાનું આયોજન રેસકોર્સ રિંગ રોડ પર કરવામાં આવ્યું છે. આ વર્ષે બે કેટેગરીમાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એક ગ્રુપ રંગોળી 5 ફૂટ લાંબી અને 15 ફૂટ પહોળી 25 રંગોળી અને બીજી કેટેગરીમાં વ્યકિતગત રંગોળી 5 ફૂટ લાંબી અને 5 ફૂટ પહોળી સાઈઝની 500 રંગોળી 1000 કરતા વધુ કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવી છે. સ્પર્ધામાં કોઈ ફી નથી અને કલર પણ આયોજકો આપે છેઆ સ્પર્ધામાં એક પણ રૂપિયાની ફી વસૂલવામાં આવતી નથી અને કલાકારોને કલર પણ આયોજકો દ્વારા ફાળવવામાં આવે છે. જેમાં અંદાજે 3000 કિલો ચિરોડી કલરનો ઉપયોગ આ વર્ષે કરવામાં આવ્યો છે. આ સ્પર્ધામાં ગ્રુપ રંગોળીમાં પ્રથમ ત્રણને રૂપિયા 5000નું ઈનામ આપવામાં આવશે. જયારે વ્યક્તિગત સ્પર્ધામાં પ્રથમ 11 વિજેતાને રૂપિયા 5000નું રોકડ પુરસ્કાર આપવામાં આવશે અને 51 રંગોળીના કલાકારોને રૂપિયા 1000નું આશ્વાસન ઈનામ આપવામાં આવશે. આ વર્ષે ત્રણ લકી વિજેતાને રૂપિયા 5000ની ફટાકડાની કીટ ગિફ્ટમાં આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 9:19 am

ક્યાં છે વડોદરા ટ્રાફિક પોલીસ ?:દિવાળીની ખરીદીને લઈને વડોદરા શહેરમાં મોડી રાત સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા, એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ

દિવાળીના તહેવારની શરૂઆત સાથે જ વડોદરા શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા વકરી છે. ગઈકાલે (શુક્રવારે) મોડી રાત સુધી બજારોમાં ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી, જેના કારણે મુખ્ય માર્ગો પર મોડી રાત સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ફતેગંજથી કાલાઘોડા અને જેલ રોડ સુધીના વિસ્તારમાં ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે અકોટા દાંડિયા બજાર બ્રિજ પર રાત્રે 12 વાગ્યા સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ સ્થિતિને કારણે શહેરીજનોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. એક એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી. મંગળબજાર, અલ્કાપુરી, ફતેગંજ, અકોટા વિસ્તારમાં ભારે ભીડદિવાળીના તહેવારની તૈયારીઓને લઈને વડોદરાના બજારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો સોના-ચાંદી, વાસણો ખરીદી માટે બજારોમાં ઉમટી પડ્યા હતા. મંગળ બજાર, અલકાપુરી, ફતેગંજ અને અકોટા જેવા વિસ્તારોમાં દિવસભર ભીડ જોવા મળી હતી, જે મોડી સાંજથી રાત સુધી વધુ વકરી ગઈ હતી. રાત્રે 8 વાગ્યા પછી ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈફતેગંજથી કાલાઘોડા અને જેલ રોડ સુધીના માર્ગ પર સ્થિતિ વધુ ગંભીર હતી. આ વિસ્તારમાં બજારોને કારણે લોકોની આવનજાવન વધુ છે. સાંજે 8 વાગ્યા પછી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી, જેમાં કાર, બાઇક અને ઓટોરિક્ષા સહિતના વાહનો અટવાયેલા હતા. એક વાહન ચાલકે જણાવ્યું કે, આજે ખરીદી માટે બહાર નીકળ્યા હતા, પરંતુ ટ્રાફિક જામને કારણે ઘરે પરત ફરવામાં મોડું થયું છે. પોલીસની વ્યવસ્થા અપૂરતી લાગી રહી છે. આ વિસ્તારમાં ચક્કાજામ જેવી સ્થિતિને કારણે કેટલાક વાહનચાલકોને તેમના વાહનોમાં જ અટવાઈને રહેવું પડ્યું હતું. અકોટામાં તો રાત્રે 12 વાગ્યે પણ ટ્રાફિકજામઅકોટા દાંડિયા બજાર બ્રિજ પરની સ્થિતિ તો વધુ વિકટ હતી. રાત્રે 12 વાગ્યા પછી પણ અહીં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. બ્રિજ પર વાહનોની ધીમી ગતિને કારણે પાર કરવામાં અડધો કલાકથી વધુ સમય લાગ્યો હતો. આ ટ્રાફિક જામને કારણે માત્ર વાહનચાલકો જ નહીં, પરંતુ એમ્બ્યુલન્સ અને અન્ય કટોકટી વાહનોને પણ અસર થઈ રહી છે. શહેરમાં તહેવારના દિવસોમાં આવી સમસ્યાઓ વારંવાર જોવા મળે છે, જેને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં વધુ સારી વ્યવસ્થા કરવાની જરૂર છે. દિવાળીના બાકીના દિવસોમાં પણ આવી સ્થિતિ ચાલુ રહે તેવી આશંકા છે.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 9:15 am

મોઝામ્બિકમાં મોટી દુર્ઘટના, દરિયામાં બોટ પલટી જતાં 3 ભારતીયોના મોત, 5 લોકો હજુ ગુમ

(AI IMAGE) Mozambique Boat accident: મોઝામ્બિકમાં થયેલા કરુણ અકસ્માતમાં ભારતીય નાગરિકોના મોતના દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. બેઇરા બંદરગાહના કિનારેથી ટેન્કર ચાલકોના એક જૂથને જહાજ તરફ લઈ જતી વખતે આ બોટ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી, જેમાં 3 ભારતીયોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે અને અન્ય 5 લોકો ગુમ છે.

ગુજરાત સમાચાર 18 Oct 2025 9:03 am

મઠિયાં-ચોળાફળીનું હબ એટલે નડિયાદનું ઉત્તરસંડા:દિવાળી ટાણે 300 કરોડનો બિઝનેસ, અહીંના પાણીને કારણે ચરોતરનો ચટાકો બને છે ટેસ્ટમાં બેસ્ટ; લોકો કરે છે ડોલરમાં કમાણી

દિવાળીનો તહેવાર આવતાં જ લોકો મીઠાઈની સાથે નાસ્તામાં ચોળાફળી અને મઠિયાં ખાવાનું પસંદ કરતા હોય છે. આમ તો આ મઠિયાં અને ચોળાફળી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં બનતાં હોય છે, પરંતુ ફેમસ તો ખેડા જિલ્લાના ઉત્તરસંડાનાં જ છે. અહીં તૈયાર થતાં મઠિયાં અને ચોળાફળીનો સ્વાદ કંઈક ઔર જ હોય છે. અહીંના પાણીના કારણે જ આ વસ્તુ ટેસ્ટમાં બેસ્ટ હોવાનું માનવામાં આવે છે. અહીંના મઠિયાં અને ચોળાફળી ગુજરાતમાં જ નહીં પણ દેશ વિદેશમાં પ્રખ્યાત છે એટલે જ અહીંના લોકો રૂપિયાની સાથે સાથે ડોલરમાં કમાણી કરે છે. ભારતમાં ગુજરાત રાજ્ય હંમેશા તેની વેપારી સૂઝ અને ઉદ્યોગસાહસિકતા માટે જાણીતું રહ્યું છે. ગુજરાતીઓ દેશ અને વિદેશમાં પોતાની આવડતનો ડંકો વગાડે છે. ત્યારે નડિયાદ નજીક આવેલું ઉત્તરસંડા ગામ આજે દેશ-વિદેશમાં ધૂમ મચાવી રહ્યું છે. આ ગામની ઓળખ તેના સ્વાદિષ્ટ મઠિયાં, પાપડ અને ચોળાફળીને કારણે બની છે. દિવાળી એટલે ઉત્તરસંડા માટે સોનાનો સૂરજનડિયાદના સીમાડે આવેલા ઉત્તરસંડાના પ્રવેશદ્વારથી જ પાપડ, મઠિયાં અને ચોળાફળીની મોટા પાયે ઉત્પાદન કરતી ફેક્ટરીઓની હારમાળા શરૂ થઈ જાય છે. દિવાળીનો તહેવાર એટલે ઉત્તરસંડા માટે જાણે સોનાનો સૂરજ ઉગ્યો હોય એવું લાગે છે. દિવાળીમાં અહીંનો માહોલ અદ્ભુત હોય છે. નવરાત્રીથી લઈને દિવાળી સુધીના માત્ર 20 દિવસના ગાળામાં અંદાજે 6000 જેટલાં શ્રમજીવી બહેનો મળીને 500 ટન જેટલા પાપડ, મઠિયાં અને ચોળાફળીનો જથ્થો તૈયાર કરે છે. તહેવારમાં બિઝનેસ 300 કરોડને પારગામના વેપારીઓના જણાવ્યા મુજબ, આ 20 દિવસના ઉત્પાદન અને વેચાણને કારણે વ્યવસાયનો આંકડો રૂ. 300 કરોડને પાર થઈ જાય છે. આધુનિક યુગ સાથે તાલ મિલાવીને, ઉદ્યોગકર્તાઓ મઠિયાં અને ચોળાફળીને તૈયાર કરવા માટે ઓટોમેટીક પ્લાન્ટનો પણ ઉપયોગ કરે છે. વિદેશમાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં ઉત્તરસંડાનો સ્વાદઉત્તરસંડાના મઠિયાં, ચોળાફળી અને પાપડની માંગ માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં છે. આ ગામના ઉદ્યોગપતિઓ મોટા પ્રમાણમાં આ વસ્તુઓ વિદેશમાં ટ્રાન્સપોર્ટ કરે છે. વિશ્વમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે, તેવા અમેરિકા, લંડન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં દિવાળી સમયે ઉત્તરસંડાની ચોળાફળી, મઠિયાં અને પાપડની વિશેષ માંગ રહે છે. આ જ કારણે, આ ગામના લોકો રૂપિયાની સાથે સાથે ડોલરમાં પણ કમાણી કરી રહ્યા છે. સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણઉત્તરસંડા ગામ સ્ત્રી સશક્તિકરણનું એક જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. મઠિયાં ફેક્ટરીના માલિક તુષાર વરસોલાએ જણાવ્યું હતું કે, સામાન્ય દિવસોમાં દરેક ફેક્ટરીમાં સરેરાશ 30 જેટલી મહિલાઓ કામ કરે છે. જોકે, દિવાળીના દિવસોમાં ઉત્તરસંડાની તમામ ફેક્ટરીઓ મળીને આશરે 6000 મહિલાઓને રોજગારીની તક પૂરી પાડે છે, જે તમામ ઉત્તરસંડા અને આસપાસના વિસ્તારોની જ હોય છે. કેવી રીતે શરૂ થયો આ ઉદ્યોગ?ઉત્તરસંડાના પાપડ ઉદ્યોગનો ઇતિહાસ રસપ્રદ છે. કહેવાય છે કે, આ ગામનું પાણી પાપડ ઉદ્યોગ માટે શ્રેષ્ઠ છે. પહેલા પાણી લેવા માટે દૂરથી આવવું પડતું હોવાથી ઉત્પાદન મોંઘું પડતું. 1987માં આ સમસ્યાનું નિરાકરણ આવ્યું અને 'ઉત્તમ' નામની પ્રથમ ફેક્ટરી શરૂ થઈ. બસ, પછી તો એક પછી એક એમ ઉત્તરસંડામાં લગભગ ત્રીસેક જેટલી પાપડ-મઠિયાંની ફેક્ટરીઓ અને દુકાનો શરૂ થઈ ગઈ. દિવાળી દરિમયાન આશરે 6 હજાર મહિલાઓને રોજગારીઉત્તરસંડામાં મઠિયાં બનાવતી ફેક્ટરીના માલિક તુષાર વરસોલાએ જણાવ્યું હતું કે, ગામની આબોહવા અને પાણી મઠિયાં ચોળાફળીને અનુકૂળ હોવાના કારણે જ અહીંયાના મઠિયાં અને ચોળાફળી પ્રખ્યાત છે. છેલ્લા 25થી 30 વર્ષમાં આ ઉદ્યોગ ઘણો આગળ વધી ગયો છે. દર વર્ષે ઉત્તરસંડા ગામમાંથી આશરે 30 ફેક્ટરીઓ માંથી 30 ટનનું વેચાણ થતું હોય છે. ઉત્તરસંડા ગામમાં ચાલતા ઉદ્યોગોમાં સામાન્ય દિવસોમાં તમામ ફેક્ટરીમાંથી 30થી 40 જેટલી મહિલાઓને રોજગારી મળી રહે છે, જોકે, દિવાળી દરિમયાન આશરે 5 થી 6 હજાર મહિલાઓને રોજગારી ઊભી થશે. ગ્રાહક જૈમિનીબેને જણાવ્યું કે, ઉત્તરસંડાના મઠિયાંનો સ્વાદ એટલો સારો છે કે તેઓ અન્ય કોઈ જગ્યાએથી મઠિયાં લેતા નથી. માત્ર સ્થાનિક લોકો જ નહીં, પણ બહારગામથી પણ ઘણા લોકો ખાસ ઉત્તરસંડામાં મઠિયાં લેવા માટે આવે છે. આના પરથી ઉત્તરસંડાના મઠિયાંની વિશિષ્ટ ઓળખ અને ગુણવત્તાની ખાતરી મળે છે. પોતાની ખરીદી વિશે માહિતી આપતા તેમણે જણાવ્યું કે, તેમણે પણ કુલ 20 કિલો મઠિયાંની ખરીદી કરી છે. નડિયાદનું ઉત્તરસંડા ગામ આજે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ વિશ્વભરના ગુજરાતીઓને દિવાળીના તહેવાર પર પોતાના ઘરના સ્વાદની યાદ અપાવી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 8:00 am

ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓ આજે કાર્યભાર સંભાળશે:કેબિનેટ મંત્રીઓ સ્વર્ણિમ સંકુલ 1 અને રાજ્યકક્ષાના સ્વર્ણિમ સંકુલ 2માં બેસશે; પરિવાર, સંબંધી અને મિત્રો હાજર રહેશે

ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળની ગઈકાલે બપોરે શપથવિધી સંપન્ન થયા બાદ મોડી સાંજે ખાતા ફાળવણી કરી દેવામાં આવી હતી, ત્યારે આજે ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીઓ તેમના સંબંધિત કાર્યાલયોમાં કાર્યભાર સંભાળશે. આ દરમિયાન તેમના પરિવારજનો, સંબંધીઓ અને મિત્રો પણ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓ સ્વર્ણિમ સંકુલ 1માં બેસશે, જ્યારે રાજ્યકક્ષાના મંત્રીઓ સ્વર્ણિમ સંકુલ 2માં બેસશે. નવા મંત્રીમંડળમાં CM સહિત 7 પાટીદાર, 8 OBCનવા મંત્રીમંડળમાં CM ભૂપેન્દ્ર પટેલ સહિત 26 મંત્રી બનાવાયા છે. નવા મંત્રીમંડળમાં CM સહિત 7 પાટીદાર, 8 OBC, 3 SC અને 4 STનો સમાવેશ થાય છે, જેમાં 3 મહિલા છે. ગઈકાલે સાંજે 5 વાગ્યે સ્વર્ણિમ સંકુલ 1માં નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠક સવા કલાક સુધી ચાલી હતી. ખાતાંની ફાળવણી પણ થઈ ગઈ હતી. હર્ષ સંઘવીને ગૃહ મંત્રી બનાવાયા છે. આ પહેલા તેઓ ગૃહ રાજ્યમંત્રી હતા. આ પણ વાંચો: કયા ધારાસભ્યને કયા કારણે મંત્રીમંડળમાં સ્થાન મળ્યું?, અભ્યાસ, સંપત્તિ, ઉંમર, રાજકીય કેરિયર સહિત મંત્રીઓની A TO Z પ્રોફાઈલ હર્ષ સંઘવીએ સૌથી પહેલા શપથ લીધાહર્ષ સંઘવીએ સૌથી પહેલા શપથ લીધા હતા. તેમને DyCM બનાવાયા છે. ત્યાર બાદ જિતુ વાઘાણી, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમ્ન વાજા અને રમણ સોલંકીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ પાનસેરિયા, ડો. મનીષા વકીલે રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે શપથ લીધા હતા. આ પણ વાંચો: 10 મંત્રીને કેમ પડતા મૂક્યા?, 6 રિપીટ માટે કયું ફેક્ટર કામ કરી ગયું?; ભાનુબેનથી લઈ ભીખુસિંહને શું શું નડ્યું? કાંતિ અમૃતિયા, રમેશ કટારા, દર્શનાબેન વાઘેલા, કૌશિક વેકરિયા, પ્રવીણ માળી, જયરામ ગામીત, ત્રિકમ છાગા, સંજય મહીડા, કમલેશ પટેલ, પી.સી.બરંડા, સ્વરૂપજી ઠાકોર, રીવાબા જાડેજાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. નવા મંત્રીઓ હાથમાં ભગવદ્ ગીતા લઇને શપથ લીધા હતા. ઉલ્લેખનીય છે કે કેબિનેટમાં એક પણ મહિલા મંત્રી નથી, સાથે જ ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, કુંવરજી બાવળિયાએ રાજીનામું ન આપ્યું હોવાથી શપથ લીધા નહોતા. રિપીટ કરાયેલા મંત્રીઓને ખુદ મુખ્યમંત્રીએ ફોન કરીને જાણ કરી હતી અને કહ્યું હતું કે આપણે સાથે છીએ, તમારે શપથ લેવાના છે. તો નવા મંત્રીઓને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ફોન કરીને જાણ કરી હતી. આ પણ વાંચો: રીવાબા જાડેજા સૌથી નાની ઉંમરના અને પૈસાદાર મંત્રી; મંત્રીમંડળમાં રૂપાણીની ગેરહાજરીમાં પણ સૌરાષ્ટ્રનું વજન વધ્યું, પાટીદાર-OBC પર ફોકસ આ પણ વાંચો:- 1040 દિવસ પછી ભૂપેન્દ્ર પટેલ સરકારનું વિસ્તરણ:સંઘવી Dy.CM અને ગૃહમંત્રી, 12 જિલ્લામાંથી એકેય મંત્રી નહીં, 7 પાટીદાર-8 OBCને સ્થાન, કોને ક્યું ખાતું મળ્યું? આ પણ વાંચો:- અલ્પેશના નામ સામે લાલ પેનથી સહી, ‘ચતુર’ને કોણીએ ગોળ:શું આંદોલન કરીશ તો જ મંત્રીમંડળમાં ‘હાર્દિક’ સ્વાગત; શપથ સમારોહની 10 બોલતી તસવીર 62 વર્ષમાં 28માંથી 12 મંત્રીમંડળ વિસ્તરણ નવરાત્રિથી દિવાળી વચ્ચે1962માં ગુજરાતમાં પ્રથમ વિધાનસભા ચૂંટણી થઇ ત્યારથી લઇ આજ દિન સુધી કુલ 28 વખત મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. તેમાં ચૂંટણી જીત્યા બાદ જે નવું મંત્રીમંડળ બને છે તે સામેલ નથી. રસપ્રદ વાત એ છે કે સરકારની રચના થયા બાદ 16 વખત મંત્રીમંડળનું વિસ્તરણ ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં જ થયું છે.1962-1994ઃ 12 વખત1965ના સપ્ટેમ્બરમાં બળવંતરાયની જગ્યાએ હિતેન્દ્ર દેસાઇ મુખ્યમંત્રી બન્યા ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થયું. ઓગસ્ટ 1973માં ચીમનભાઇ મુખ્યમંત્રી બન્યા ત્યારે, ઓગસ્ટ 1985 અને ઓક્ટોબર 1990માં પણ વિસ્તરણ થયું હતું.1 995-2007ઃ 7 વખતઓક્ટોબર 1995માં કેશુભાઇની જગ્યાએ સુરેશ મહેતા અને ઓક્ટોબર 1996માં શંકરસિંહ મુખ્યમંત્રી બન્યા ત્યારે, ઓક્ટોબર 1997માં દિલીપ પરીખ, ઓક્ટોબર 2001માં મોદી આવ્યા ત્યારે, 2003 અને 2006માં પણ મંત્રીમંડળ બદલાયું હતું.2008-2025ઃ 9 વખતઓગસ્ટ 2010માં, સપ્ટેમ્બર 2011માં મોદી વખતે, ઓગસ્ટ 2016માં આનંદીબેને રાજીનામું આપતા રૂપાણી આવ્યા ત્યારે, સપ્ટેમ્બર 2021માં રૂપાણીની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલ આવ્યા ત્યારે અને હવે ઓક્ટોબર 2025માં ગુજરાતના ઇતિહાસનું 29મીવાર મંત્રી મંડળનું વિસ્તરણ થયું છે.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 7:00 am

આંગણવાડી કાર્યકર બહેનો માટે તાલીમનું આયોજન:જિલ્લાની આંગણવાડીઓમાં ‘પોષણ ભી પઢાઇ ભી’ પ્રોજેક્ટ‌ અંતર્ગત તાલીમ યોજાઈ

ભાવનગર જિલ્લામાં‌‌ આઇસીડીએસ વિભાગ દ્વારા ભાવનગર જિલ્લાની 1586 આંગણવાડી કાર્યકર બહેનો માટે પોષણ ભી પઢાઇ ભી” પ્રોજેક્ટ‌ અંતર્ગત ત્રણ દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આઈસીડીએસ વિભાગના ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર રમેશભાઈ ઝાંખણીયાએ તાલીમના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ તાલીમ‌ દરમિયાન નિષ્ણાત ટ્રેનરોએ બાળકોના સર્વાંગી વિકાસ માટે પોષણ સાથે શિક્ષા કઇ રીતે આપવી, સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 અને પોષણ સાથે શિક્ષાનો પરીચય, બાળપણ સંભાળ અને શિક્ષણનો પરીચય, 3થી 6 વર્ષના બાળકો માટે ECCE પ્રવૃતિઓ અને માળખાંની સમજ, પોષણ સંગમ – કુપોષણ વ્યવસ્થાપન અને પ્રોટોકોલ (EGF+CMAM), બાળકો માટે પોષણના લક્ષ્યાંકો અને Addressing malnutrition, 0થી 3 વર્ષના નાના બાળકો માટેની ખોરાક પ્રથાઓ, સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવાની સાથે દિવ્યાંગ બાળકોનું સ્ક્રિનિંગ (વજન અને ઉંચાઇ), વ્યુરચનાઓ, શિક્ષણ દેખરખ અને મૂલ્યાંકન વિકાસલક્ષી સીમાચિન્હોનો ઉપયોગ, બાળકોને આપવામાં આવતા સંતુલિત આહાર, આહારની વિવિધતા અને આયુપોષણ માર્ગદર્શિકા, ગ્રોથ મોનિટરિંગ અને ગૃહ મુલાકાત જેવા વિષયો અંગે ઝીણવટભરી જાણકારી આપવામાં આવી હતી. આ તાલીમમાં વિવિધ પ્રાયોગિક પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે,‌ આ તાલીમનો હેતુ બાળકોમાં પોષણ અને શિક્ષણ બંનેની ગુણવત્તા સુધારવા માટે આંગણવાડી‌ કાર્યકરોને સક્ષમ બનાવવાનો છે.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 6:43 am

બાળકોમાં ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા:બાળકોમાં વધતું જતુ મેદસ્વીપણું ગંભીર રોગને આમંત્રણ આપી શકે

આજના આધુનિક અને ટેક્નોલોજી આધારિત યુગમાં બાળકોમાં મેદસ્વીપણું એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા બની રહ્યું છે. શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો, જંકફૂડની ટેવ, અને વધતો સ્ક્રીન ટાઈમ આ બધું મળીને બાળકોમાં વજન વધારવાનું મુખ્ય કારણ બને છે. બાળપણની મેદસ્વીતા માત્ર દેખાવની સમસ્યા નથી, પરંતુ આગામી જીવનમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદયરોગ અને માનસિક તણાવ જેવી બીમારીને આમંત્રણ આપી શકે છે. ખોરાકની ખોટી ટેવ જેવા કે જંક ફૂડ, કોલ્ડ ડ્રિંક, ચિપ્સ, પિઝા, બર્ગર અને મીઠાઈનો અતિરેક.ફળ, શાકભાજી અને દાળ જેવી પોષણયુક્ત વસ્તુઓનો અભાવ રાત્રે મોડું ખાવું અને વારંવાર નાસ્તો કરવો. મોબાઈલ, ટીવી, ટેબલેટ અને કમ્પ્યુટરમાં વધારે સમય વિતાવવો. રમવાની શારીરિક પ્રવૃત્તિઓમાં ભાગ ન લેવો. બાળકો મોટા ભાગે ઘરના વાતાવરણથી શીખે છે. જો માતા-પિતા પણ ફાસ્ટફૂડ ખાય, કસરત ન કરે, તો બાળક પણ એ ટેવો અપનાવે છે. તણાવ, ડિપ્રેશન અથવા એકલતામાં બાળકો ખાવામાં આશ્રય લે છે, જેને ઇમોશનલ ઇટિંગ કહે છે. કેટલાક બાળકોમાં હોર્મોનલ અસંતુલન (જેમ કે થાયરોઈડ) અથવા વારસાગત પરિબળો પણ મેદસ્વીપણું વધારવામાં ફાળો આપે છે. બાળકોમાં મેદસ્વીતા ઘટાડવાના ઉપાયસંતુલિત અને પોષણયુક્ત આહાર આપવો જોઈએ. રોજ ફળ અને લીલાં શાકભાજી, દૂધ, દાળ તેમજ આખા અનાજનો પણ સમાવેશ કરો. જંકફૂડ અને કોલ્ડ ડ્રિંકનું સેવન સપ્તાહમાં એક વારથી વધુ ન થાય તેની કાળજી લો. સવારે નાસ્તો ક્યારેય ચૂકો નહીં. ઘરેલું ખોરાકને પ્રોત્સાહન આપો. રોજ ઓછામાં ઓછા 60 મિનિટ આઉટડોર રમતો જેમ કે સાયકલ ચલાવવી, દોડવું, તરવું અને કૂદકાં મારવા જેવી રમતો પણ રમવી જરૂરી છે. સ્ક્રીન ટાઈમ દરરોજ 1–2 કલાકથી વધુ ન થવો જોઈએસ્ક્રીન ટાઈમ દરરોજ 1–2 કલાકથી વધુ ન થવો જોઈએ. બાળકો માટે સ્વસ્થ ખોરાક તૈયાર કરો અને સાથે ખાવાની ટેવ પાડો. પોતે કસરત કરીને ઉદાહરણ પૂરું પાડો. રમતો અને યોગા માટે નિયમિત સમય રાખવો. સ્વસ્થ બાળપણ એટલે સ્વસ્થ ભારત દરેક માતા-પિતાએ પોતાના બાળકના ખોરાક, રમત અને સ્ક્રીન ટાઈમ વચ્ચે યોગ્ય સંતુલન જાળવવાનું મહત્વ સમજવું જોઈએ. નાના પ્રયાસોથી પણ બાળકોને મેદસ્વીતાથી દૂર રાખી શકાય છે.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 6:42 am

વર્ષો જૂનો પૂલનો પ્રશ્ન હજુ અણઉકેલ:ભાંખલ - ભારોલીને જોડતા માર્ગ પર પુલના અભાવે લોકો ત્રસ્ત

જયારે પાસ પાસેના કોઇ બે ગામના બે અલગ-અલગ તાલુકા હોય તો તે ગામના રોડ સહિતના પ્રશ્નોના નિરાકરણ લાવવામાં તંત્ર વર્ષો લગાડતું હોય છે આવું જ કાંઇક સિહોર તાલુકાના છેવાડે આવેલ ભાંખલ અને તળાજા તાલુકાના ભારોલી વચ્ચેના છાણિયાના પુલ બાબતે વર્ષોથી બની રહ્યું છે. આ પુલ બાબતે તંત્ર વર્ષોથી આ વિસ્તારના રહીશોને ઠેંગો બતાવી રહ્યું છે. અને આથી આ બાબતે આ વિસ્તારના ભાંખલ, ભારોલી,વાવડી સહિતના ગામોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. ભાંખલ અને ભારોલીએ નજીક આવેલા ગામો છે આ બે ગામની વચ્ચે છાણિયું નદી આવેલ છે. આ નદી ઉંડાણમાં આવેલી છે. ઉપરાંત અહીં રસ્તો સાંકડો હોય આજે પણ અહીંથી મોટા વાહનો પસાર થઇ શકતા નથી.ઉપરાંત ચોમાસામાં જયારે પુર આવે ત્યારે આ રસ્તો લગભગ બંધ થઇ જાય છે. ભાંખલ ગામના પાલીવાલ બ્રહ્મ સમાજના કુળદેવી ખોડિયાર મા ભારોલી ગામે આવેલ છે. ઉપરાંત ભાંખલ અને ભારોલી ગામે ક્ષત્રિય સમાજની વસતી હોય અહીં સારા-નરસા સામાજિક પ્રસંગોએ પણ આ ગામના લોકો એકબીજા ગામમાં જતા હોય છે. ભાંખલથી વાયા ભારોલી થઇ તણસા,વાવડી સહિતના ગામોએ જવા માટે આ ગામના લોકોને ભારે હાલાકી સહન કરવી પડે છે. છેક આઝાદી સમયથી આ બંને ગામ વચ્ચેનો રસ્તો બિસ્માર હાલતમાં છે પરંતુ આમ છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. નદી પરનો પુલ વહેલામાં વહેલી તકે બનાવવામાં આવે તેવી આ વિસ્તારના રહીશોની પ્રબળ લોકમાંગ ઊઠવા પામી છે.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 6:40 am

ફરિયાદ નોંધાઈ:170 લોખંડની પ્લેટો ભાડે લઇ એક લાખ રૂપિયા ન ચુકવી ફરાર થતા રાવ

પાલિતાણાના વેપારી પાસેથી તળાજાના યશ કન્સ્ટ્રક્શનના માલિકે લોખંડની 170 જેટલી પ્લેટો પ્રતિદિન ભાડે લઇ, લોખંડની પ્લેટનું ભાડું અને રૂપિયા ન ચુકવી, લોખંડની પ્લેટો લઇ ફરાર થઇ પાલિતાણાના વેપારી સાથે એક લાખ રૂપિયાની છેતરપિંડી આચરતા તળાજાના શખ્સ વિરૂદ્ધ અલંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પાલિતાણાના કોર્ટ રોડ ઉપર રહેતા કિરણભાઇ પરશોતમભાઇ મારૂએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત એક વર્ષ અગાઉ યશ કન્સ્ટ્રક્શનના માલિક રાજુભાઇ ગોબરભાઇ બારૈયા (રહે. ભરવાડ શેરી, ગોરખી દરવાજા, તળાજા) વાળા કિરણભાઇના પાલનહાર ટ્રેડર્સના પ્લોટ ઉપર આવ્યા હતા અને કિરણભાઇ પાસેથી લોખંડની જુદી જુદી લંબાઇની 170 પ્લેટો કિ.રૂા. 1,00,000 ની પ્રતિદિન રૂા. 3 લેખે ભાડા ઉપર લીધી હતી. પરંતુ આજદિન સુધી ભાડું ન ચુકવી, તેમજ એક લાખ રૂપિયાની કિંમતની પ્લેટો લઇ ફરાર થઇ, છેતરપિંડી આચરતા કિરણભાઇ મારૂએ યશ કન્સ્ટ્રક્શનના માલિક રાજુભાઇ ગોબરભાઇ બારૈયા વિરૂદ્ધ અલંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 6:39 am

પોલીસ કાર્યવાહી:જેસર ચોકડી નજીકથી સવા લાખ રૂપિયાનું જ્વલનશીલ પ્રવાહી ઝડપાયું

ભાવનગર શહેર જિલ્લામાં જ્વલનશીલ પ્રવાહીના ગેરકાયદેસર હેરાફેરી ભુતકાળમાં બનતી આવી છે ત્યારે જેસર ચોકડી નજીક વાહન ચેકીંગ દરમિયાન જેસર પોલીસે એક બોલેરો પીકઅપ વાનને અટકાવી તલાશી લેતા બોલેરો પીકઅપ વાનમાંથી 2500 લી. કિ.રૂા. 1,25,000નું જ્વલનશીલ પ્રવાહી કબ્જે કરી બે શખ્સોને ઝડપી લીધા છે. ભાવનગરના જેસર ચોકડી નજીક જેસર પોલીસ દ્વારા વાહન ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી તે દરમિયાન ઠાડચ ગામેથી એક શંકાસ્પદ બોલેરોમાં બે વ્યક્તિ નિકળ્યા હતા જે બોલેરોના ડ્રાઇવરને વાહન થોભાવી, બોલરો પીકઅપ વાહનમાં પાછળ રહેલા પ્લાસ્ટીકના કેનની તપાસ કરવામાં આવી હતી. જેમાં પીકઅપ વાનમાં રહેલા 95 જેટલા કેનમાં તપાસ કરવામાં આવતા પ્રતિ કેનમાંથી 20 લીટર જેટલું જ્વલનશીલ પ્રવાહી મળી આવતા પોલીસ દ્વારા બોલેરો પીકઅપને પોલીસ મથકે લઇ જઇ કુલ 2500 લિટર જેટલું જ્વલનશીલ પ્રવાહી કિ.રૂા. 1,25,000 કબ્જે કરી, બોલેરો પીકઅપમાં રહેલા રાજુ પોપટભાઇ ઢાપા (રહે. ત્રાપજ, તા. તળાજા) અને હાર્દિક વિનુભાઇ જાબુંચા (રહે. ચણીયાળા, તા. ઘોઘા)ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે જ્વલનશીલ પ્રવાહીને ઝડપી લઇ લેબેરોટરીમાં સેમ્પલો મોકલી આપ્યા હતા.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 6:38 am

મારામારી:અકવાડામાં મહિલા સહિત 7 વચ્ચે મારામારી

શહેરના અકવાડા ગામે રહેતા ઉત્તમ ઘુઘાભાઇ બારૈયાને વિશ્વદીપસિંહ ઉર્ફે ભોલુભાઇ ટેમુભા ગોહિલએ સોડા પીવા માટે બોલાવ્યો હતો અને જે બાદ ઘુઘાભાઇએ વિશ્વદિપસિંહને કાતર મારતા બંન્ને શખ્સો વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થવા પામ્યો હતો. જે બાદ વિશ્વદિપસિંહ, ઉત્તમભાઇ ઘુઘાભાઇ બારૈયા, દક્ષાબેન ઘુઘાભાઇ બારૈયા, હેતલબેન બાબુભાઇ, ઘુઘાભાઇ, બાબુભાઇ અને ઘુઘાભાઇના કુટુંબી માણસ સહિત છ શખ્સો વચ્ચે સામસામી સશસ્ત્ર મારમારી સર્જાઇ હતી.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 6:37 am

વિદ્યાર્થીઓએ 110થી વધારે પ્રોજેક્ટ રજૂ કર્યા:જ્ઞાનમંજરી ઇનોવેટીવ યુનિવર્સિટી દ્વારા પ્રોજેક્ટ પ્રદર્શન “પહેલ 1.0”  યોજાયુ

જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટી દ્વારા સમાજ ઉપયોગી પ્રોજેક્ટ પ્રદર્શન “પહેલ 1.0” નું આયોજન કરવામાં આવ્યું, જેમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ 110થી વધારે પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. આ પ્રોજેક્ટ પ્રદર્શનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને નવીનતા, સર્જનાત્મકતા અને તકનીકી વિચારશક્તિ તરફ પ્રોત્સાહિત કરવાનો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ ટેક્નિકલ પ્રોજેક્ટ્સ રજૂ કરીને પોતાના વિચારને વાસ્તવિક રૂપ આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ રિયલ-ટાઇમ એન્જિનિયરિંગ એપ્લિકેશન સાથે સંકળાયેલા પ્રોજેક્ટ્સ રજૂ કર્યા, જે તેમની ટીમ વર્ક, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ તથા ઇનોવેટિવ થિંકિંગ ક્ષમતાનું પ્રતિબિંબ હતું. એન્જીનીયરીંગ, સાયન્સ, ફાર્મસી, કોમ્પ્યુટર એપ્લિકેશન ઉપરાંત આર્ટસ, કોમર્સ, મેનેજમેન્ટ તેમજ ફેશન ડિઝાઇન ના વિદ્યાર્થીઓ દ્વારા આવિષ્કૃત અને પ્રદર્શિત કરેલ વિવિધ પ્રોજેક્ટ્સની અધ્યાપક ગણ તેમજ નિષ્ણાતોએ ખૂબ પ્રશંસા કરેલ. ડિરેક્ટર પ્રો. અનીશ વોરા ના માર્ગદર્શન હેઠળ ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ ના વડા પ્રો. રાહુલ પરમાર દ્વારા આ પ્રદર્શનીનું સફળ આયોજન કરવામાં આવેલ. જ્ઞાનમંજરી ઈનોવેટિવ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. એચ. એમ. નિમ્બાર્ક દ્વારા જણાવવામાં આવ્યું કે “આ પ્રદર્શન વિદ્યાર્થીઓને નવીન વિચારધારા વિકસાવવામાં મદદરૂપ થાય છે અને તેમને ઉદ્યોગજગત માટે તૈયાર કરે છે”.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 6:36 am

યુનિ.માં દિવ્યાંગ ઉમેદવારોને નિમણુંક આપવાનો નિર્ણય કરાયો:અભ્યાસક્રમોની જોડાણ અરજીની ફી રૂ. 75 હજાર રાખવાનો નિર્ણય

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટ ની બેઠક કુલપતિ ડો. ભરતભાઈ રામાનુજની અધ્યક્ષતામાં મળી હતી જેમાં સંસ્થા ખાતે દિવ્યાંગ કેટેગરીની શૈક્ષણિક કર્મચારીઓની ભરતી અન્વયે સિલેક્શન કમિટી દ્વારા પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂંક આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આજે મળેલી એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં શામળદાસ કોલેજમાં ફિલોસોફી વિષય, એમ જે કોલેજ ઓફ કોમર્સમાં કોમર્સ / એકાઉન્ટન્સી તથા લાઈફ સાયન્સ ભવનમાં બોટની વિષયમાં ઉમેદવારોની પસંદગી કરીને નિમણૂક આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તબીબી વિદ્યા શાખા તથા નર્સિંગ વિદ્યા શાખાના મહેનતાણાના નક્કી થયેલા દરો અનુસાર હોમિયોપેથી વિદ્યાશાખા તથા ડેન્ટલ વિદ્યા શાખાના દરો રાખવાનું મંજૂર કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ચાલુ વધારાના તમામ અભ્યાસક્રમો જેમાં સ્નાતક કક્ષા અનુસ્નાતક કક્ષા પીજી ડિપ્લોમા યુ જી ડિપ્લોમા અને સર્ટિફિકેટ કક્ષાએ જોડાણ દીઠ અરજી માટેની ફી ₹75,000 રાખવાનો નિર્ણય કરાયો હતો. જોડાણ માટેની ફી નોન રિફન્ડેબલ રહેશે. આજે યોજાયેલી આ બેઠકમાં અરજી માટેની ફી વધારીને રૂ.75 હજાર રાતોરાત કરવાનો નિર્ણય થઇ શકે તે માટે આ ઠરાવ ટેબલ આઇટમ તરીકે લાવવામાં આવ્યો હતો અને તેને પસાર કરી દેવાતા હવે આ 75000ની ફી નક્કી ગણાશે. ફી વધારાન પ્રશ્ને આગઉ સંચાલક મંડળ દ્વારા વિરોધ વ્યકત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 6:35 am

વિદ્યાર્થીઓ આપે ધ્યાન:યુનિ.ની પરીક્ષા માટે તા.17થી 26 ઓક્ટોબર સુધી ફોર્મ ભરી શકાશે

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની સપ્ટેમ્બર-ઓક્ટોબર-નવેમ્બર-2025ના પાંચમાં તબક્કાની તમામ NEP યુ.જી. સેમ-3/5 (રેગ્યુલર), તમામ પી.જી. સેમેસ્ટર-3 (રેગ્યુલર), LL.B. સેમેસ્ટર-3/5 (રેગ્યુલર), LL.M, સેમેસ્ટર-3 (રેગ્યુલર), B.Ed. B.Ed. (HI) સેમેસ્ટર-3 (રેગ્યુલર) પરીક્ષાના આવેદન પત્ર તા.17 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. તેમજ તા.27 ઓક્ટોબર સુધીમાં પરીક્ષાના ફોર્મ ચકાસણી કરીને વેલીડ - ઇનવેલીડ કરી શકાશે. વધુમાં ઉપરોક્ત પરીક્ષાના આવેદન પત્રો લેઇટ ફી સાથે તા.28 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધી ઓનલાઈન લેઇટ ફી સાથે ફોર્મ ભરી શકાશે વધુમાં તા.30 ઓક્ટોબર સુધીમાં લેઇટ ફી વાળા પરીક્ષાના ફોર્મ વેલીડ - અને વેલીડ કરી શકાશે. પાંચમા તબક્કાની તમામ NEP યુ.જી. સેમ-3/5 (રેગ્યુલર), તમામ પી.જી. સેમેસ્ટર-3 (રેગ્યુલર), LL.B. સેમેસ્ટર-3/5 (રેગ્યુલર), LL.M. સેમેસ્ટર-૩ (રેગ્યુલર), B.Ed. B.Ed. (HI) સેમેસ્ટર-3 (રેગ્યુલર) પરીક્ષાઓ તા.11 નવેમ્બરથી શરુ થશે. સપ્ટેમ્બર-ઓક્ટોબર-નવેમ્બર-2025ના છઠ્ઠા તબક્કાની તમામ પી.જી. સેમેસ્ટર-1 (રેગ્યુલર), LL.M. સેમેસ્ટર-1 (રેગ્યુલર), B.Ed. B.Ed. (HI) સેમેસ્ટર-1 (રેગ્યુલર), MCA સેમેસ્ટર-૩ (રેગ્યુલર) પરીક્ષાના પરીક્ષાઓ આવેદન પત્ર તા.17 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. તેમજ તા.1 નવેમ્બર સુધીમાં પરીક્ષાના ફોર્મ વેલીડ - ઇનવેલીડ કરી શકાશે. વધુમાં ઉપરોક્ત પરીક્ષાના આવેદન પત્રો લેઇટ ફી સાથે તા.2 નવેમ્બરથી 5 નવેમ્બર સુધી ઓનલાઈન લેઇટ ફી સાથે ફોર્મ ભરી શકાશે વધુમાં તા.6 નવેમ્બર સુધીમાં લેઇટ ફી વાળા પરીક્ષાના ફોર્મ વેલીડ - અને વેલીડ કરી શકાશે. છઠ્ઠા તબક્કાની તમામ પી.જી. સેમેસ્ટર-1 (રેગ્યુલર), LLM. સેમેસ્ટર-1 (રેગ્યુલર), B.Ed. B.Ed. (HI) સેમેસ્ટર-1 ( રેગ્યુલર), MCA સેમેસ્ટર-3 (રેગ્યુલર) પરીક્ષાઓ તા.21 નવેમ્બરથી શરૂ થશે. જેની સંબધિત તમામ વિદ્યાર્થી તેમજ કર્મચારીઓએ નોંધ લેવી.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 6:35 am

જાગૃતિ રેલી:ભુજમાં ફટાકડાના બહિષ્કાર માટે ત્રણ દિવસ જાગૃતિ રેલી

દીપોત્સવી તહેવારો દરમ્યાન ભુજમાં ફટાકડાનો બહિષ્કાર કરવા માટે રેલી યોજાશે. ફટાકડાને કારણે પર્યાવરણ અને પશુ, પક્ષી, સૃષ્ટિ તેમજ લોકોને પ્રદૂષણથી હાનિ પહોંચે છે. તેની સામે જાગૃતિ આવે એ હેતુથી ભુજમાં દર વર્ષે ફટાકડાનો બહિષ્કાર કરવા લોક જાગૃતિ માટે રેલીનું આયોજન કરાયું છે. શનિ, રવિ અને સોમવારના ત્રણ દિવસ સવારે 7 વાગ્યે ભુજના જૈન વંડા મધ્યે આવેલા આદિનાથ દાદાના જિનાલયથી આ રેલી નીકળી શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરશે. રેલી પૂર્ણ થશે ત્યારે સાધુ ભગવંત માંગલિક ફરમાવશે. એવું અક્ષય કિશોર શાહની યાદીમાં જણાવાયું છે. છેલ્લા 50 વર્ષથી વધુ સમયથી આ રેલીનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 6:34 am

CMને રજૂઆત:ઘોઘાની કોલેજને વીર મોખડાજી નામ આપો

વીર મોખડાજીનો જન્મ ઈસવીસન 1309માં થયો હતો. વીર મોખડાજીના પિતા રાણોજીના મૃત્યુ બાદ મોખડાજીને સલામતી માટે બાળપણમાં દરિયાઈ તટવાળા વિસ્તારમાં રાખવામાં આવ્યા હતા. તે સમયે તેઓએ નાનપણમાં જ સમુદ્ર વ્યવહાર, રક્ષણ, મુસાફરીમાં કુશળતા મેળવી હતી. ત્યારબાદ વીર મોખડાજી ગોહિલે ઉમરાળા ખાતે રાજગાદી સ્થાપી અને બાદમાં ઘોઘા પાસે આવેલા પિરમબેટને જીતીને ત્યાં પોતાની રાજધાની સ્થાપી હતી. વીરમોખડાજી ગોહિલ દિલ્હીના શાસક સાથે યુદ્ધમાં વીરગતિને પામ્યા હતા. આજે પણ દરિયાઈ વેપાર કરતા લોકો અને ગોહિલ કુળના તમામ લોકો ઘોઘા અને ખદરપર સાથે આવેલી તેમની સમાધિની પૂજા અર્ચના કરે છે. હવે જ્યારે ગુજરાત સરકારે ઘોઘા તાલુકામાં સરકારી આર્ટસ અને કોમર્સ કોલેજને મંજૂરી આપી છે ત્યારે ભાજપના આગેવાન ભરતસિંહ ગોહિલે ઘોઘા સરકારી કોલેજનું નામકરણ વીર મોખડાજી સરકારી કોલેજ થાય તેવી રજૂઆત મુખ્યમંત્રીને કરી છે.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 6:33 am

મુસાફરોને હાલાકી:સરકારી કાર્યક્રમોમાં એસટી બસ ફાળવતા મુસાફરો અટવાયા

સરકારના અને રાજકીય કાર્યક્રમો માટે સામાન્ય પ્રજાજનો હેરાન થતા હોવાના અનેક દાખલાઓ છે તેમ છતાં સરકાર કે રાજકીય આગેવાનો સુધરતા નથી. આજે ગાંધીનગર ખાતે શપથ ગ્રહણ સમારોહનું આયોજન હોવાને કારણે એસટીની અનેક બસો કાર્યક્રમ માટે ફાળવી હતી. ગાંધીનગર ખાતેના કાર્યક્રમને કારણે એસટી વિભાગની ઘણી બસ ફાળવવામાં આવી હતી. મંત્રીમંડળના શપથ ગ્રહણ કાર્યક્રમમાં કાર્યકરોને લઈ જવા માટે થઈને એસટી બસનો ઉપયોગ કરાયો હોવાનું પણ જાણવા મળ્યું છે. ભાવનગર ડેપોની ગાંધીનગરથી ભાવનગર આવતી એસટી એક્સપ્રેસ બસ પણ મુસાફરોને જાણ કર્યા વગર અચાનક કેન્સલ કરવામાં આવી હતી. જેથી અમદાવાદ ખાતે જ અનેક મુસાફરો અગાઉથી બુકિંગ કરાવેલી બસની રાહ જોઈ ઉભા હતા. કોઈપણ જાતનો મુસાફરોને બસ કેન્સલનો મેસેજ નહીં કરતા મુસાફરો અટવાયા હતા.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 6:32 am

મારામારી:ઉઠંગડીમાં ઉભા પાકમાં ભેંસોએ નુકસાન કરતા થઈ મારામારી

નખત્રાણા તાલુકાના ઉઠંગડી ગામના ખેતરમાં ઉભેલા પાકમાં ભેંસોએ નુકસાન કર્યો હોવા બાબતે મારામારી થઇ હતી જેમાં સામસામે 15 વિરુદ્ધ ગુનો નોધાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી ફતેખાન આચાર ભટ્ટીએ હાજીપીર પોલીસ મથકે આરોપી અબાસ ઓસમાણ ભટ્ટી,મીઠાખાન હાકમદિન ભટ્ટી,અસલમ આલાધાર ભટ્ટી,જગમાલ મામદ ભટ્ટી,ફારુક જગમાલ ભટ્ટી,જુમા હાકમદિન ભટ્ટી,રઝાક હાકમદિન ભટ્ટી અને શેરખાન હાકમદિન ભટ્ટી વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 16 ઓક્ટોબરના સવારે સાત વાગ્યાના અરસામાં બન્યો હતો.ફરિયાદીની છ ભેંસો આરોપીના ખેતરમાં ગઈ હતી જેથી નુકસાન થયું હતું.જે બાદ ફરિયાદીએ નુકસાનીના રૂપિયા આપવા બાબતે કહેતા ઉશ્કેરાયેલા આરોપીઓએ કુહાડી અને લાકડીઓથી હુમલો કરી ફરિયાદીની માતાને ઈજા પહોચાડી હતી. જયારે સામા પક્ષે ફરિયાદી હાકમદિન જુમાભાઈ ભટ્ટીએ આરોપી સાઈદાદ રમધાન ભટ્ટી,હુશેન આચાર ભટ્ટી,આચાર મામદ ભટ્ટી,નેકમામદ આમદખાન ભટ્ટી,હુતેખાન આચાર ભટ્ટી,દરિયાખાન આચાર ભટ્ટી અને સાજણ જુમા ભટ્ટી વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે.આરોપીની ભેંસોએ નુકસાન કર્યો હોવા બાબતે ઠપકો આપતા ઉશ્કેરાઈ જઈ કુહાડીથી હુમલો કરી ઈજાઓ પહોચાડી હતી.સમગ્ર મામલે હાજીપીર પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 6:31 am

સૌરાષ્ટ્ર સમાચાર ઇમ્પેક્ટ:આખરે તંત્ર જાગ્યું, નવ બાળકોને અસર થતા પીવીસી ગન્સના વેચાણ પર પ્રતિબંધ લાદયો

ભાવનગર શહેર જિલ્લામાં પીવીસી કાર્બાઇડ ગનને લઇ બાળકોમાં શારીરીક ખોડ ખાપણ તેમજ નવ જેટલા બાળકોને આંખમાં ઝેરી અસર થઇ હોવાના સમાચાર અખબારમાં પ્રસિદ્ધ થયા બાદ ભાવનગર જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પીવીસી કાર્બાઇડ ગનના વેચાણ તેમજ ખરીદ ઉપર જાહેરનામું લાદવામાં આવ્યું છે. ત્યારે આજે જાહેનામાનો ભંગ કરતા ઇસમ વિરૂદ્ધ કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ભાવનગર એસ.ઓ.જી. પોલીસ દ્વારા શહેરની પાણીની ટાંકી પાસે જાહેરમાં પીવીસી કાર્બાઇડ ગનનું વેચાણ કરતા શખ્સને કાર્બાઇડ ગન 71 તેમજ અન્ય મુદ્દામાલ સાથે ઝડપી લેવાયો હતો. ભાવનગર જિલ્લા એસ.પી નિતેશ પાંડેય દ્વારા બાળકોના સ્વાસ્થયની ગંભીરતા સમજીને તાત્કાલીકના ધોરણે મેજીસ્ટ્રેટ સમક્ષ જાહેરનામાની દરખાસ્ત કરવામાં આવી હતી જે મંજુર થતા કાર્યવાહી ઝડપી બની છે. રાજ્યની સાથો સાથ ભાવનગર શહેર તેમજ જિલ્લામાં આ વર્ષે દિવાળીમાં બાળકો માટે પીવીસી કાર્બાઇડ ગન્સનું ધુમ વેચાણ થઇ રહ્યું છે પરંતુ આ પીવીસી કાર્બાઇડ ગન્સમાં વપરાતા કેમીકલને લઇ અને પીવીસી કાર્બાઇડ ગન્સ ફોડ્યા બાદ આ ગન્સથી નિકળતા કેમીકલથી બાળકોની આંખમાં ગંભીર અને કાયમી ખોડખાપણ આવી જાય છે. તેવા ભાવનગર શહેરમાં નવ જેટલા બાળકો અસરગ્રસ્ત બન્યા છે જ્યારે અમરેલીમાં પણ એક બાળકને અસર થઇ છે. તેવા સૌરાષ્ટ્ર સમાચારમાં સમાચાર પ્રસિદ્ધ થયા બાદ ભાવનગર જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પીવીસી કાર્બાઇડ ગન્સના ખરીદ અને વેચાણને લઇ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા આજે જાહેરનામું લદાયા બાદ ભાવનગર એસ.ઓ.જી. દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં આજે શહેરના કાળિયાબીડ પાણીની ટાંકી વિસ્તારમાં જાહેરમાં પીવીસી કાર્બાઇડ ગનનું વેચાણ કરતા શાલીક ઉત્તમ બેલદારને ઝડપી લઇ પીવીસી કાર્બાઇડ ગન નંગ 71, વિસ્ફોટક કરવા ઉપયોગમાં લેવાતું કેલ્શીયમ કાર્બાઇડની પડીકીઓ નંગ 145 તેમજ બે પાણીની બોટલો કબ્જે કરી એસ.ઓ.જી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફટાકડાના સ્ટોલ તેમજ લારીઓમાં ચેકીંગ હાથ ધરવામાં આવશેભાવનગર પોલીસ દ્વારા આજે એક ઇસમને ગરેકાયદેસર પીવીસી કાર્બાઇડ ગન્સ સાથે ઝડપી લીધો છે. ત્યારે આગામી દિવસોમાં દિવાળી સુધી ફટાકડાના સ્ટોલ તેમજ લારીઓમાં પણ ભાવનગર પોલીસ દ્વારા કડક હાથે ચેકીંગ કરી, ગન્સનું વેચાણ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું હતું

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 6:31 am

કરુણાંતિકા સર્જાઈ:ભાવનગર જિલ્લામાં જુદા જુદા બે અકસ્માતોમાં બે લોકોના મોત નિપજ્યા

ભાવનગર જિલ્લામાં સિહોર નજીક ડમ્પરના ચાલકે બાઇકને અડફેટે લેતા એક યુવકે જીવ ગુમાવ્યા બાદ આજે ફરી જિલ્લામાં જુદા જુદા બે અકસ્માતોમાં બે લોકોના કરૂણ મોત નિપજ્યા છે. ત્યારે ત્રણ દિવસમાં ત્રણ લોકો અકસ્માતે મોતને ભેટ્યા છે. ભાદ્રોડ પાસે બાઇક અને રીક્ષા તેમજ તણસા નજીક બાઇક કારનો અક્સમાત થવા પામ્યો હતો. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ખાટસુરા ગામે રહેતા વિશાલભાઇ ધિરૂભાઇ બારૈયાના પિતા ધિરૂભાઇ તેમજ તેમના મિત્ર બંન્ને મોટર સાયકલ લઇ ખાટસુરા ગામેથી ભાદ્રોડ ગામ તરફ જઇ રહ્યા હતા તે વેળાએ રિક્ષાના ચાલકે પુરપાટ ઝડપે ચલાવી ધિરૂભાઇના બાઇક સાથે અકસ્માત કરતા ધિરૂભાઇનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું જેની મહુવા રૂરલ પોલીસ મથકમાં રિક્ષા ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. જ્યારે શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતા મનીષભાઇ અને તેમના મિત્ર બંન્ને લૌકિક કામ પતાવીને તળાજાથી ભાવનગર ખાતે પરત આવતા હતા તે વેળાએ સુપર ટરબો કારના ચાલકે મનીષભાઇના બાઇક સાથે ગંભીર અક્સમાત કરતા મનીષભાઇનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં ભારે શોક છવાઇ જવા પામ્યો હતો. જેની ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. ગઇકાલે સિહોરમાં કાળમુખા ડમ્પરના ચાલકે બાઇકને અડફેટે લઇ એક સગીર યુવકને મોતને ઘાટ ઉતારી દિધો હતો જ્યારે આજે પણ બે અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવતા ભારે ચકચાર મચી છે.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 6:30 am

યુવાનનું મોત:નારણપર નજીક બાઈક સ્લીપ થતા કેરાના યુવાનનું મોત

તાકુલાના કેરા ગામના 18 વર્ષીય યુવાનનું બાઈક સ્લીપ થઇ જતા ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ચોકીએથી મળેલી વિગતો મુજબ કેરા ગામના 18 વર્ષીય દિનેશભાઈ રમેશભાઈ મહેશ્વરીનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. બનાવ શુક્રવારે બપોરે એક વાગ્યાના અરસામાં બન્યો હતો.હતભાગી યુવાન બાઈક લઈને કેરાથી જઈ રહ્યો હતો.એ દરમિયાન કેરા અને નારણપર વચ્ચે પેટ્રોલપંપ નજીક બાઈક સ્લીપ થઇ ગયો હતો.અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા તાત્કાલિક સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 6:29 am

PGVCLની ટીમો દ્વારા 3888 ટ્રાન્સફોર્મરોનું લોડ બેલેન્સિંગ:શહેરમાં દિવાળીમાં વધશે 10 % વીજ વપરાશ

ભાવનગર શહેરમાં સજાવટ, લાઇટિંગ અને ઘરગથ્થુ વીજ ઉપકરણોને કારણે દર વર્ષે દિવાળીના પર્વ દરમિયાન વીજળીનો વપરાશ વધતો હોય છે. શહેરમાં ગયા વર્ષે દિવાળીના અરસામાં 4.87 લાખ KW યુનિટથી વધારે વીજળીનો વપરાશ થયો હતો. જે સામાન્ય દિવસોના વપરાશ કરતા 10 ટકા વધુ હતો ભાવનગર શહેરમાં આ વર્ષે દિવાળીના તહેવારોમાં 5.15 લાખ KW યુનિટથી વધારે વીજળીના વપરાશની માંગને લઈ ભાવનગર પી.જી.વી.સી.એલ.ની ટીમો દ્વારા 3888 ટ્રાન્સફોર્મરોનું લોડ બેલેન્સિંગ કરી આગોતરૂ આયોજન કરાયું છે. પી.જી.વી.સી.એલ. દ્વારા ભાવનગર શહેરમાં દિવાળીના તહેવારો દરમિયાન વીજળીને લગતી ફરિયાદોના ત્વરિત નિકાલ માટે તા.18-10-2025 (ઘન તેરશ) થી તા.20-10-2025 (દિવાળી) દરમિયાન વધારાના સ્ટાફ સાથે સાંજે 4 થી સવારના 10 વાગ્યા સુધી ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભાવનગર શહેરી વિસ્તારોમાં 11 કે.વી.ના કુલ 95 ફિડરના નેટવર્ક સાથે 3888 ટ્રાન્સફોર્મરો મારફતે શહેરના કુલ 239718 ગ્રાહકોને પી.જી.વી.સી.એલ. દ્વારા વીજળી પુરી પાડવામાં આવે છે. તહેવારોમાં વીજળીને લગતી ફરિયાદ અહીં નોંધાવોદિવાળી કે નૂતન વર્ષના તહેવારોમાં વીજળી ગુલ થવાના કિસ્સામાં ગ્રાહકો તરફની કોઈપણ ફરિયાદના ત્વરિત નિકાલ માટે ભાવનગર પી.જી.વી.સી.એલ. દ્વારા વિશેષ આયોજન કર્યું છે. પી.જી.વી.સી.એલ.ના ટોલ ફ્રી નંબર : 19122 અથવા 1800-23315-5333, પી.જી.વી.સી.એલ. વોટ્સએપ નંબર : 95120-19122 તથા કોઈ વિસ્તારમાં આવેલ 12 સબ ડિવિઝન કચેરીના ફૉલ્ટ સેન્ટર નંબર પર ફરિયાદ નોંધાવી શકાશે. દરેક ટી.સી.માં 3 ફેઝ, તેથી લોડ બેલેન્સિંગ જરૂરીવીજળી વિતરણ વ્યવસ્થામાં દરેક ટી.સી. (ટ્રાન્સફોર્મર)માં ત્રણ ફેઝ હોય છે. જો કોઈ વિસ્તારમાં એક ફેઝ સાથે ઘણી બધી ઘરગથ્થુ અથવા સુશોભન લાઇટ્સ જોડાયેલ હોય, તો તે ફેઝ ઓવરલોડ થઈ શકે છે અને ફોલ્ટનું કારણ બની શકે છે. ટી.સી.ના ત્રણેય ફેઝને સમાનરૂપે લોડ કરવાથી ઓવર હિટીંગ, ટ્રાન્સફોર્મર ફેઈલ થઇ જવા અથવા ફ્યુઝ બળી જતા અટકાવે છે. વીજ વ્યવસ્થાપનની ફેક્ટ ફાઈલ

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 6:28 am

દિવાળીની ઉજવણી:ભુજમાં દિવાળીની ઘરાકી દેખાઈ : શરાફ બજાર વિવિધ રંગની આકર્ષક રોશનીથી ઝળકી ઉઠી

દિવાળીની ઉજવણી નિમિત્તે ઘરાકી ભુજ બજારમાં દેખાવા માંડી હતી. શુક્રવારે સવારથી ગામડાના લોકો ભુજની બજારમાં ખરીદી માટે દેખાયા હતા, તો સાંજે શહેરના લોકો ઇલેક્ટ્રોનિક, રેડીમેડ ગારમેન્ટ, લાઈટ અને ડેકોરેશન, પગારખા વગેરેના શોરૂમ–દુકાનોમાં પરિવાર સાથે ખરીદી લેતા જોવા મળ્યા હતા. શરાફ બજારમાં દર વખતની જેમ વેપારીઓએ એકઠા થઈને રોશની લગાવીને બજાર આખી પ્રકાશિત કરી દીધી હતી. ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળી આમ ત્રણ દિવસ સુધી ભુજની બજાર ગ્રાહકો થી ઉભરાશે. પોલીસ વિભાગ દ્વારા ત્રણ રીંગ રોડ પાસે બેરીકેડ રાખવામાં આવતા મોટા વાહનો રીક્ષા વગેરે કોટ વિસ્તારની અંદર પ્રવેશવા ન દેવાતા દ્વિચક્રી વાહન ચાલકો અને રાહદારીઓ માટે આરામથી ખરીદી થઈ શકે તેવું હતું. લોકોને ટ્રાફિકજામની સમસ્યાથી રાહત હતી.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 6:28 am

આજે ધનતેરસ:આજે બપોરે 12.18 કલાક બાદ લક્ષ્મી પ્રાપ્તિ માટેના મંત્રો સાથે ધનપૂજન કરવુ

આસો વદ બારસ શનિવાર તારીખ 18-10-2025 ના દિવસે ધનતેરસનું મંગલ પર્વ સાથે દિપાવલી મહાપર્વનો પ્રારંભ થશે.. બપોરે 12.18 સુધી બારસ છે. ત્યાર પછી ધનતેરસ શરૂ થાય છે. ધન પૂજન ધનવંતરી પૂજન અને યમ દીપ દાનનો મહિમા છે.ચોપડા ખરીદવા સિદ્ધ શ્રી યંત્ર સોનુ, ચાંદી, હીરા, ઝવેરાત અને આભૂષણ ખરીદવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે.ધનતેરસથી ભાઈબીજ સુધી દિપાવલી મહાભારતનો શુભારંભ થશે. લક્ષ્મીજીની કૃપા માટે પ્રાર્થના કરવી. યાચના કદી ન કરવી. સૃષ્ટિના સંરક્ષણ ભગવાન શ્રીધર ના પત્ની મા લક્ષ્મી ક્યારેય, ક્યાંય સ્થિર નથી રહેતા. લક્ષ્મીજીની અવિરત કૃપા માટે તેની ઉપાસના, સાધના નિરંતર કરવી આવશ્યક છે. લક્ષ્મીજીની સાધના માટે સૌપ્રથમ ઉલ્લેખ વેદો માં શ્રી સૂક્ત રૂપે મળે છે. લક્ષ્મીજીની સાધના એટલા માટે મહત્વની છે ત્યેન યકતેન ભુંજિતા ત્યાગી ને ભોગવવાની શ્રીમદ્ ભગવદગીતાની આ વાત ત્યારે જ સાર્થક બને જ્યારે ભોગવવા જેવું કંઈક હોય. અને એ મેળવવા માટે ધન (લક્ષ્મીજી) ની પૂજાનું મહાત્મય છે. તેમ શ્રીધર પંચાગવાળા કિશનભાઇ જોશીએ જણાવ્યુ છે. લક્ષ્મી પ્રાપ્તિ માટેના મંત્રઓમ ર્હિં કલીં મહાલક્ષ્મીયૈ નમ:ઓમ શ્રીં હ્મિં શ્રી કમલે કમલાલય પ્રસિદ્ પ્રસિદ શ્રીં મહાલક્ષ્મી પ્રસન્નોસ્તુ જૈનો માટે લક્ષ્મી પ્રાપ્તિ માટેના મંત્રઓમ ક્રોં હ્મીં પદ્મે શ્રીં સર્વોન્નતિ પ્રાપ્તિ હ્મીં શ્રીં નમ: સ્વામિનારાયણ હરિભકતો માટે લક્ષ્મી પ્રાપ્તિ માટેના મંત્ર​​​​​​​ઓમ હ્મીં કલીં શ્રી સિધ્ધ લક્ષ્મી નારાયણ નમ:ઓમ નમ: ભગવતે લક્ષ્મી નારાયણ નમ:

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 6:26 am

તાપમાનનો પારો ઉચકાયો:બે જ દિવસમાં રાત્રે તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો

ભાવનગર શહેરમાં બેવડી ઋતુના પ્રભાવ વચ્ચે ગુરૂવારે રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાન વધીને 24.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા રાત્રે શહેરમાં ગુલાબી ઠંડી શરૂ થઇ હતી તે ઓસરી ગઇ હતી જ્યારે આજે બપોરે પણ મહત્તમ તાપમાન વધીને 35.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા નગરજનોને ગરમીનો અનુભવ થયો હતો. ખાસ તો શહેરમાં 12 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો હવે દિવાળી બાદ ઠંડીનો પ્રભાવ પડશે તેવી આગાહી છે. કાલે મહત્તમ તાપમાન 34.9 ડિગ્રી હતુ તે આજે વધીને 35.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. જ્યારે રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 23.6 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે વધીને 24.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. બપોરે મહત્તમ તાપમાનનો પારો વધીને 35.4 ડિગ્રી થતા ગરમી વધી

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 6:23 am

કોર્પો.ના શાસકોની રાજરમત:સભામાં વિપક્ષના પ્રશ્નનો વારો ન લાવવા ભાજપના સભ્યોના પ્રશ્નો

ભાવનગર કોર્પોરેશનની સાધારણ સભામાં પ્રશ્નોત્તરી કાળમાં મોટાભાગે કોંગ્રેસના સભ્યો દ્વારા પ્રશ્ન પૂછાતા હોય છે અને તંત્ર તેમજ શાસકોની ઝાટકણી કાઢવામાં આવતી હોય છે. પરંતુ કોર્પોરેશનના સભ્યોના વર્તમાન ટર્મની મુદ્દત પૂર્ણ થવાના ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે કોર્પોરેશનના શાસન પર થતા આક્ષેપોની ઢાલ બનવા ભાજપના સભ્યો દ્વારા પ્રશ્નોત્તરીમાં પ્રથમ પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. અને આવતીકાલ શનિવારે મળનારી સાધારણ સભામાં ભાજપના સભ્યો દ્વારા જ પ્રશ્નો પૂછી પ્રશ્નોત્તરી કાળ પૂર્ણ કરી દેવાની પણ શક્યતા છે. કોર્પોરેશનની સાધારણ સભામાં ઘણા કિસ્સાઓમાં કોંગ્રેસના પ્રશ્નો અને આક્ષેપોનો સામનો કરવો ભાજપ માટે મુશ્કેલરૂપ બને છે. જેથી અગાઉ પણ પ્રશ્નોત્તરીનો સમય પૂર્ણ કરવાનો વ્યુહ ઘડતા હોય તેમ ભાજપના એક પછી એક સભ્યો પ્રશ્નોમાં જ તંત્ર અને શાસનના ગુણગાન ગવરાવતા હોય છે. ત્યારે આવતીકાલ તારીખ 18 ના રોજ મળનારી સાધારણ સભામાં ભાજપના સભ્ય દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. જેમાં કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રમાં અપાતી વિવિધ સેવાઓ અને છેલ્લા પાંચ વર્ષમાં લાભ લીધેલ લાભાર્થી તેમજ વિવિધ યોજનાઓ, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, જન્મ મરણ અને લગ્ન નોંધણી સહિતની વિગતો સભામાં મેળવી ચર્ચા વિચારણા કરશે. તદુપરાંત કોંગ્રેસના સભ્યો દ્વારા જવાહર મેદાન ખાતે રાખવામાં આવેલ કાર્યક્રમ અંતર્ગત કોર્પોરેશનના વિભાગોની કામગીરી અને તેનો ખર્ચ તેમજ શહેરમાંથી કચરા નિકાલ કરવા માટેનું ચૂકવણું, વાહનોની ખરીદી, સ્વીપર મશીનની કાર્યરતતા, એજન્સીની સક્રિયતા અને છેલ્લા પાંચ વર્ષમાં કોર્પોરેશન દ્વારા ઢોર ડબ્બા, ઢોરનો નિભાવ ખર્ચ, ઢોરનો મરણાંક અને એજન્સીને ચૂકવાતી રકમ સહિતના પ્રશ્નોથી તંત્ર અને શાસકોને ભીડવવાના પ્રયાસ કરશે. જોકે પ્રશ્નોત્તરીનો એક કલાક તો ભાજપના સભ્યો જ પૂર્ણ કરી દેશે તેવી પૂરી શક્યતા છે. સાધારણ સભામાં રહેણાકીય લીઝ પટ્ટા રીન્યુઅલ, કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ આપવા, ધાર્મિક સ્થાનો અને કોર્પોરેશનની માલિકી હસ્તકની મિલકતોમાં એસ.ડબલ્યુ.એમ. યુઝર્સ ચાર્જ લાગુ ન કરવા, પી.એમ. ઈ-બસ સેવાના બસ સ્ટોપકે રૂટમાં ફેરફાર કરવા કમિશનરને અધિકૃત કરી શકતા સોંપવા તેમજ એસેસમેન્ટ વિભાગ અને ઘર વેરા વિભાગનું સૂચિત સેટઅપ મંજૂર કરવા સહિતના કાર્યોનો નિર્ણય થશે.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 6:21 am

હોલિ-ડે સ્પેશિયલ ટ્રેન ભાવનગરને એકપણ નહીં:તહેવારોમાં ફાજલ રેકનો ઉપયોગ સુરત માટે કરવા રેલવે તંત્ર નિષ્ક્રિય

દિવાળીના તહેવારો દરમિયાન સુરત-ભાવનગર-સુરતનો ટ્રાફિક અકલ્પનીય હોય છે. ભાવનગર-સુરત સામાજીક, ઔદ્યોગિક દ્રષ્ટિએ જોડાયેલું હોવાથી બંને શહેરો વચ્ચે દૈનિક ધોરણે ટ્રાફિક રહે છે, અને તહેવારો, વેકેશન દરમિયાન બંને શહેરો વચ્ચે ટ્રાવેલિંગ કરી રહેલા નાગરિકોની સંખ્યા સવિશેષ હોય છે. આવા જબ્બર ટ્રાફિકને ધ્યાનમાં રાખી અને એસ.ટી.વિભાગ દ્વારા સુરત-ભાવનગર-સુરત માટે 120 બસો જુદા જુદા ડેપો માટે ફાળવવામાં આવી છે, પરંતુ રેલવે તંત્રની ઘોર બેદરકારી હોય તેવી રીતે સુરત-ભાવનગર-સુરત માટે એકપણ સ્પેશિયલ ટ્રેનની ફાળવણી કરવામાં આવી નથી. ભાવનગર-ઉધમપુર-ભાવનગર ટ્રેન અચોક્કસ મુદ્દત માટે રદ્દ કરવામાં આવેલી છે. અને તેની રેક ફાજલ અવસ્થામાં છે, ઉપરાંત કોચુવેલી ટ્રેનની રેક પણ સપ્તાહમાં બે દિવસ ફાજલ હોય છે, આવી ફાજલ પડેલી રેકનો ઉપયોગ સુરત-ભાવનગર-સુરત માટે તહેવારો દરમિયાન કરવામાં પણ ભાવનગર રેલવે ડિવિઝન સુસ્ત સાબિત થઇ રહ્યું છે. જો આવી રેકની ફાળવણી સ્પેશિયલ ટ્રેનો માટે કરવામાં આવે તો મુસાફરોને એકદમ સરળ અને સુરક્ષિત મુસાફરી મળી શકી હોત. ટ્રેન વ્યવહારનો વિકલ્પ ઉપલબ્ધ નહીં હોવાને કારણે સુરત-ભાવનગરના નાગરિકોને ફરજીયાત સડક માર્ગનો ઉપયોગ પરિવહન માટે કરવો પડે છે. સડકમાર્ગના પરિવહનમાં સતત અકસ્માતનો ભય પણ રહે છે, અને દર વર્ષે અનેક અકસ્માત સર્જાય છે. રેલવે તંત્ર પાસે રેકની ઉપલબ્ધતા હોવા છતા આગોતરા આયોજનમાં ખામી રહી જતા સમયસર સુરતની ટ્રેનની ફાળવણી થઇ શકી નથી. પ્રતિ વર્ષ ભાવનગરથી હોલિ-ડે સ્પેશિયલ ટ્રેનો ફાળવવામાં આવે છે, પરંતુ ઓણસાલ તેમાં પણ ભાવનગરના ફાળે અન્યાય આવ્યો છે, અને એકપણ હોલિ-ડે સ્પેશિયલ ટ્રેન ભાવનગરને આપવામાં આવી નથી. નાની નાની બાબતોમાં અખબારી યાદીઓ પ્રસિધ્ધ કરાવવા માટે તલપાપડ રહેતા ભાવનગરનું પ્રતિનિધિત્વ કરી રહેલા રાજકીય નેતાઓ ભાવનગરની પરિવહન સવલતો માટે એક શબ્દ ઉચ્ચારી રહ્યા નથી.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 6:20 am

કેન્દ્ર અને રાજ્યમાં ભાવનગર પંથકના 4 મંત્રી:સરકારમાં ભાવનગરનો દબદબો, ખેડૂત પુત્ર વાઘાણી કૃષિમંત્રી

સરકારમાં ભાવનગરનો દબદબો વધ્યો હોય તેમ ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળમાં પૂર્વધારણા મુજબ કેબિનેટ મંત્રી તરીકે જીતુભાઈ વાઘાણીનો સમાવેશ થયો છે અને રાજ્યકક્ષાના મંત્રી પદે પરસોતમભાઈ સોલંકી યથાવત રહ્યા છે. ગુજરાતના મંત્રીમંડળ બાબતે ચાલતી અટકળોનો આજે અંત આવતા નવા મંત્રીમંડળમાં 26 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા હતા. ભાવનગરમાંથી જુના મંત્રી મંડળમાં રાજ્યકક્ષાના મંત્રી પદે પરસોત્તમભાઈ સોલંકી હતા. પરંતુ નવા મંત્રી મંડળમાં કોળી સમાજ પર વર્ચસ્વ ધરાવતા પરસોતમભાઈ સોલંકીને મત્સ્ય ઉદ્યોગ રાજ્યકક્ષાના મંત્રી તરીકે યથાવત રાખવામાં આવ્યા હતા. જ્યારે કેબિનેટ મંત્રી તરીકે ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીને શપથ લેવરાવ્યા હતા. જીતુભાઈ વાઘાણીને મંત્રી પદના શપથ લીધા બાદ શિક્ષણ સહિતના ઘણા ખાતાઓ ફાળવ્યાની ફેક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતી હતી. પરંતુ તેઓને કૃષિ વિભાગમાં કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જીતુભાઈ વાઘાણી અગાઉ પણ કેબિનેટ મંત્રી પદે કાર્યભાર સંભાળેલો છે. અગાઉ પણ અગાઉ ભાવનગરના બે ધારાસભ્યનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. વિભાવરીબેન દવે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી હતા ત્યારે શિક્ષણ મંત્રી હતા ત્યારે પણ પરસોતમભાઈ સોલંકી મંત્રી પદે હતાં. ભાવનગર પંથકના હાલમાં ચાર ચાર મંત્રીઓ સરકારમાં કેન્દ્ર અને રાજ્ય કક્ષાએ છે. બબ્બે કેન્દ્રીય મંત્રી અને બે રાજ્ય સરકારમાં મંત્રી છે. હવે શહેર અને જિલ્લામાં નવા ઉદ્યોગ ધંધા અને રોજગારીની નવી તકો ઉભી કરવા સાથે વિકાસ કાર્યોને વેગ મળે તેવી ગોહિલવાડના લોકો આશા રાખે તે યોગ્ય છે. પરસોત્તમ સોલંકી સતત 18 વર્ષથી મંત્રીપદે અડીખમભાવનગર ગ્રામ્યના પરસોત્તમ સોલંકી ફરી એક વખત રાજ્ય કક્ષાના મંત્રી બન્યા છે અને આ રીતે તેઓ વર્ષ 2007માં મત્સ્યોદ્યોગ અને પશુપાલનના રાજ્યકક્ષાના મંત્રી બનાવામાં આવ્યા હતા અને ત્યારથી આજ સુધી એટલે કે 2025, છેલ્લાં 18 વર્ષથી સતત મંત્રીપદ સંભાળી રહ્યાં છે. આમ વર્ષ 2007થી સતત ગુજરાત સરકારના મંત્રીમંડળનો ભાગ રહ્યા છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી, ભૂપેન્દ્ર પટેલ એમ ચાર વખત મુખ્યમંત્રી બદલાયા પણ તમામ મુખ્યમંત્રીઓની કેબિનેટમાં પરષોત્તમ સોલંકીને સ્થાન મળ્યું. આટલા વર્ષોમાં અનેક વખત કેબિનેટ પણ બદલાઈ, જોકે પરશોત્તમ સોલંકી મંત્રી પદે યથાવત રહ્યા. આમ તો તેઓ છેક 1998થી પહેલા ઘોઘા અને હવે ભાવનગર ગ્રામ્યની બેઠક પર વિધાનસભા ચૂંટણી જીતતા આવ્યા છે. એટલે કે વિધાનસભ્ય તરીકે છેલ્લાં 27 વર્ષથી ધારાસભ્ય તરીકે છે.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 6:19 am

તહેવારોને અનુલક્ષીને કરાયો નિર્ણય:સર ટી.માં નૂતન વર્ષ સિવાય OPD અડધો દિવસ શરૂ રહેશે

ભાવનગર જિલ્લાની સૌથી મોટી ભાવનગર સર ટી. હોસ્પિટલની ઓ.પી.ડી.માં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર્થે આવતા હોય છે. દિવાળી અને નૂતન વર્ષના તહેવારોને લઈ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની સૂચના અનુસાર જારી કરાયેલા પરિપત્રમાં ભાવનગર સહિત રાજ્યની સરકારી હોસ્પિટલમાં ઓ.પી.ડી. સેવાઓને લગતો સમય નિર્ધારિત કરાયો છે. જે અંતર્ગત ભાવનગર સર.ટી. હોસ્પિટલમાં દિવાળીથી શરૂ થતા તહેવારોમાં નૂતન વર્ષ સિવાયના ઓ.પી.ડી. અડધો દિવસ ચાલુ રહેશે. સર ટી. હોસ્પિટલના તબીબી અધિક્ષકના પરિપત્ર અનુસાર આગામી તા.20મી ઓક્ટોબર-2025થી શરૂ થતા તહેવારોને લઈ ઓ.પી.ડી. અને ઈમરજન્સી સેવાઓની કામગીરી બાબતે સમય નિયત કરાયો છે. જેમાં આગામી તા.22-10-2025ને બુધવારે નૂતન વર્ષના દિવસે સર ટી. હોસ્પિટલની તમામ ઓ.પી.ડી. સેવાઓ બંધ રહેશે. તેમજ તા.20-10ને સોમવારે (દિવાળી), તા.21-10ને મંગળવારે, તા.23-10ને ગુરૂવારે (ભાઈબીજ), તા.24-10ને શુક્રવારે અને તા.25-10ને શનિવારે ભાવનગર સર ટી. હોસ્પિટલની ઓ.પી.ડી. સેવાઓ અડધો દિવસ ચાલુ રહેશે. જોકે સર ટી. હોસ્પિટલમાં ઈમરજન્સી સારવારને લગતી સેવાઓ 24 કલાક કાર્યરત રહેશે.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 6:18 am

અનોખી પહેલ:ગાંધીજીની કચ્છ યાત્રાને સો વર્ષ: AIથી 1925નો ઈતિહાસ જીવંત

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 1925માં થયેલી કચ્છ યાત્રાને સો વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં ગાંધી કચ્છ યાત્રા શતાબ્દી સમિતિ દ્વારા વર્ષભર વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે તાજેતરમાં રમેશભાઈ સંઘવી દ્વારા લખાયેલું પુસ્તક “ગાંધીજીની કચ્છ યાત્રા” નામની 12 મિનિટની દસ્તાવેજી શોર્ટ ફિલ્મ બહાર પાડવામાં આવી છે. આ ફિલ્મની વિશેષતા એ છે કે ગાંધીજીની તે સમયની યાત્રાનો કોઈ ફોટો કે વીડિયો ઉપલબ્ધ ન હોવા છતાં, જુદા જુદા ફોટોગ્રાફ્સ, વીડિયો અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજીની મદદથી તૈયાર કરાયેલા ચિત્રોને જીવંત સ્વરૂપ આપીને આ દ્રશ્ય-શ્રાવ્ય ચિત્રણ તૈયાર કરાયું છે. આ ફિલ્મનો આધાર ગાંધીજી સાથે યાત્રામાં રહેલા મહાદેવભાઈ દેસાઈની ડાયરીની નોંધો પર છે, જે ઐતિહાસિક સચોટતા જાળવે છે. આ શોર્ટ ફિલ્મનો મુખ્ય ઉદ્દેશ્ય 100 વર્ષ જૂના સંસ્મરણોને તાજા કરવાનો અને વર્તમાન પેઢીને ગાંધીજીના આદર્શો અને કચ્છ સાથેના તેમના જોડાણ વિશે માહિતગાર કરવાનો છે. આ અનોખી પહેલ દ્વારા ઈતિહાસને આધુનિક ટેક્નોલોજીની મદદથી નવી પેઢી સમક્ષ રજૂ કરાયો છે. આ દસ્તાવેજી ફિલ્મની સંકલ્પના, ડિઝાઇનિંગ, પટકથા લેખન , સંપાદન-મિશ્રણ મહેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું છે. હિરેન સોની દ્વારા તકનીકી સહાય પૂરી પાડવામાં આવી છે. એ.આઈ. દ્વારા નિર્મિત છબીઓ ચિરાગ રાઠોડ, ઘટીત લહેરૂ અને નિખિલ નાગડા દ્વારા બનાવવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 6:10 am

ખેડૂતોને હાલાકી:ઓનલાઈન ફરિયાદોના નિકાલમાં વિલંબથી ખેડૂતોને સિંચાઈમાં તકલીફ

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વિજળીના વાયરની ચોરી, ખરાબ ટ્રાન્સફોર્મર અને મેઈન્ટન્સના અભાવે ઓનલાઈન ફરિયાદોનો સમયસર નિકાલ થતો નથી જેના કારણે ખેડૂતોને સિંચાઈમાં મુશ્કેલી પડી રહી છે. આ બાબતે ગુજરાત પ્રદેસ કોંગ્રેસ સમિતીના મહામંત્રી દર્શન નાયકો ડિજીવીસીએલ (દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમીટેડ)ના એમ.ડીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવ્યું હતું કે, ‘દક્ષિણ ગુજરાતમાં શેરડીના રોપાણ, કટિંગ અને શાકભાજીની સીઝનની શરૂઆત થવા જઈ રહી છે. આ સમયે શેરડીના રોપાણ અને કટિંગ બાદ તેમજ શાકભાજીના પાકોને નિયમિત સિંચાઈની અત્યંત જરૂરિયાત હોય છે, જે વીજળી પર આધારિત પંપો દ્વારા પૂરી પાડવામાં આવે છે. પરંતુ, દક્ષિણ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં વીજળીની સપ્લાયમાં વારંવાર વિક્ષેપ થઈ રહ્યો છે, જેના લીધે ખેડૂતોને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ‘વીજળીના વાયરોની ચોરીની ઘટના પણ વધી છે’વીજળીના વાયરની ચોરીના બનાવોમાં વધારો થયો છે અને પોલીસ દ્વારા યોગ્ય રીતે પેટ્રોલિંગ કરવામાં આવતું નથી, જેના કારણે આવા ગુનાઓને અંકુશમાં લેવામાં મુશ્કેલી થઈ રહી છે, ટ્રાન્સફોર્મર ખરાબ થવાના કારણે અને તેનું નિયમિત મેન્ટેનન્સ ન થવાને લીધે વીજ પુરવઠો અનિયમિત થઈ રહ્યો છે, ખેડૂતો દ્વારા ઓનલાઈન ફરિયાદો કરવામાં આવે છે, પરંતુ તેનો સમયસર નિકાલ થતો નથી, જેના લીધે સમસ્યાઓ વધુ ગંભીર બની રહી છે. આ સમસ્યાઓના કારણે શેરડી અને શાકભાજીના પાકોને સમયસર પાણી ન મળવાથી ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 6:08 am

દબાણો પર બુલડોઝર:હોથીવાંઢમાં કોલેજ માટે ફાળવાયેલી જમીન પરના ગેરકાયદે દબાણ દૂર કરાયા

કચ્છમાં માથાભારે શખ્સો મનફાવે ત્યાં દબાણ કરી કબ્જો જમાવતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે, તેવામાં હવે અબડાસા તાલુકાના હોથીવાંઢમાં સરકારી કોલેજ માટે ફાળવાયેલી 9 એકર જમીન પર ગામના જ શખ્સે દબાણ કરી એરંડાનું વાવેતર કરી દેતા તંત્ર હરકતમાં આવ્યું હતું. અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 27 લાખની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. અબડાસાના હોથીવાંઢમાં રહેતા ભારૂભા ગાગુભા સોઢાએ સર્વે નંબર 1457 વાડી જમીન પર દબાણ કર્યું હતું. આરોપીએ કરેલ દબાણ વાળી જમીન શ્રી સરકાર છે અને સરકારી કોલેજ માટે ફાળવવામાં આવેલી હતી. શુક્રવારે નલિયા મામલતદાર અને સર્કલ ઓફિસરની હાજરીમાં આરોપીએ કરેલા દબાણ પર કાર્યવાહી કરવામાં આવી હતી. સવારે નવ વાગ્યાથી શરુ કરાયેલી કાર્યવાહીમાં નલિયા પોલીસ મથકના પીઆઈ વી.એમ.ઝાલા, કોઠારા પીએસઆઈ અને જખૌ પીએસઆઈ સહીતનો ચુસ્ત પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો અને બપોરે ત્રણ વાગ્યા સુધી કાર્યવાહી ચાલી હતી. જેમાં 9 એકર જમીન પર વાવેતર કરેલા એરંડાના પાક પર બે ટ્રેક્ટર અને એક જેસીબી ફેરવી દઈ દબાણ દુર કરવામાં આવ્યું હતું. અને ખુલ્લી કરાયેલી જમીન વહીવટી તંત્ર હસ્તક લેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 6:08 am

માંગ:એર ઇન્ડિયા દ્વારા નવી ફ્લાઇટ સેવા શરૂ કરવાની માંગ કરાઈ

દેશના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંના એક સુરતને ફરી એકવાર હવાઈ જોડાણમાં ફટકો પડ્યો છે. એર ઇન્ડિયા એક્સપ્રેસે તેના શિયાળાના સમયપત્રક 2025 માં દિલ્હી-સુરત-દિલ્હી રૂટ પર ફ્લાઇટ્સની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લીધો છે. અગાઉ આ રૂટ પર 28 સાપ્તાહિક ફ્લાઇટ્સ ચલાવતી હતી, પરંતુ હવે આ સંખ્યા ઘટાડીને 22 કરી દેવામાં આવી છે. સુરત એરપોર્ટ પર “વી વર્ક વર્કિંગ એટ સુરત એરપોર્ટ” (WWWAS) જૂથે આ નિર્ણય પર ચિંતા વ્યક્ત કરી છે. જૂથના જણાવ્યા અનુસાર, સુરત દેશનું એકમાત્ર મોટું શહેર છે જ્યાં સીધી એર ઇન્ડિયા સેવા નથી. ફક્ત એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ્સ ચલાવે છે. આનાથી મુસાફરો પૂર્ણ-સેવા સુવિધાઓ, સ્ટાર એલાયન્સ નેટવર્ક અને કોડ-શેર કનેક્ટિવિટીથી વંચિત રહે છે. જૂથે એર ઇન્ડિયાને બે દરખાસ્તો કરી છે. પહેલો પ્રસ્તાવ એ છે કે એર ઇન્ડિયાએ અઠવાડિયામાં ત્રણ દિવસ (મંગળવાર, ગુરુવાર અને શનિવાર) સવારની ફ્લાઇટ્સ ચલાવવી જોઈએ. બીજા પ્રસ્તાવમાં એર ઇન્ડિયાને અઠવાડિયામાં ચાર દિવસ સાંજની ફ્લાઇટ્સ ચલાવવાની માંગ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 6:07 am

શિયાળુ વાવેતર સામે સંકટ:‘ભ્રષ્ટાચારની કેનાલ’: ગાગોદર પાસે 20 ફૂટનું ગાબડું

કચ્છની ધરતી પર સિંચાઈના નામે ચાલી રહેલા ‘ભ્રષ્ટાચારના ખેલ’નો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગાગોદર પેટા કેનાલની માંઠી દશા બેઠી હોય એમ હાલમાં તે ‘એક સાંધે ને તેર તૂટે’ જેવો તાલ સર્જી રહી છે. ગાગોદરથી કાનમેર સુધીની માઇનોર કેનાલમાં વીસથી પચીસ ફૂટ જેટલું મોટું ગાબડું પડવાના કારણે કાનમેર અને ગાગોદર આસપાસના ખેડૂતો માટે મુશ્કેલીનો પહાડ તૂટી પડ્યો છે. સૂત્રો અને સ્થાનિકોનો સ્પષ્ટ આક્ષેપ છે કે, આ ગાબડું કુદરતી આપદા નહીં, પણ સિંચાઈ વિભાગમાં ફેલાયેલા ભ્રષ્ટાચારનું પરિણામ છે. હજુ તો વરસાદનું પાણી કેનાલમાંથી પસાર થયું ત્યાં જ કેનાલની નબળી ગુણવત્તા છતી થઈ ગઈ. ખેડૂતોનું કહેવું છે કે, કાનમેર માઇનોર કેનાલના નિર્માણમાં કોન્ટ્રાક્ટરો અને જવાબદાર એન્જિનિયરોની ખુલ્લી મિલીભગતથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. કરોડો રૂપિયાના સરકારી આંધણ છતાં કેનાલ કાગળની હોડીની જેમ તૂટી ગઈ છે. મહત્વની વાત એ છે કે, દિવાળીની સિઝન નજીક છે અને ખેડૂતો શાખાજીરા, રાયડો અને વરિયારી જેવા શિયાળુ પાકોનું વાવેતર કરી રહ્યા છે. આ એવો સમય છે જ્યારે ખેડૂતોને સિંચાઈના પાણીની તાતી જરૂરિયાત છે. પરંતુ, કેનાલમાં પડેલા આ ભયંકર ગાબડાના કારણે પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચી શકે તેમ નથી.જેના કારણે ખેડૂતોનો આખેઆખો શિયાળુ પાક જોખમમાં મુકાયો છે. અધિકારીઓ મૌન કેમ?સ્થાનિકોના ગંભીર આક્ષેપો છતાં અને કેનાલમાં કરોડોના ભ્રષ્ટાચારની સ્પષ્ટ નિશાનીઓ હોવા છતાં, ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ કડક કે તાત્કાલિક પગલાં ભરવામાં આવ્યા નથી. આ મૌન અધિકારીઓની મીલીભગત તરફ આંગળી ચીંધે છે. ગાગોદર અને કાનમેરના રોષે ભરાયેલા ખેડૂતોની તાત્કાલિક માંગ છે કે, ભ્રષ્ટાચારના આ પુરાવા સમાન ગાબડાનું ત્વરિત સમારકામ કરવામાં આવે, જેથી પાણી ખેતરો સુધી પહોંચી શકે અને તેમનો પાક બચી શકે. સાથે જ, આ કૌભાંડ આચરનારા કોન્ટ્રાક્ટરો અને એન્જિનિયરો વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરીને તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 6:06 am

NDT ટેસ્ટમાં મેજર બ્રિજ નબળો જાહેર થયો:કીમ નદીના બ્રિજની સ્ટ્રક્ચરલ સ્થિતિ નબળી 14 નવેમ્બર સુધી ભારે વાહનો સામે પ્રતિબંધ

અંક્લેશ્વર હાંસોટ કદરામા રોડ (NH-64)સ્થિત કીમ નદીના મેજર બ્રિજ પર હવે ભારે વાહનો અને માલવાહક વાહનોની અવરજવર પર 14 નવેમ્બર સુધી પ્રતિબંધ મૂકાયો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય રબારીએ જાહેરનામું બહાર પાડ્યું છે અને વૈકલ્પિક માર્ગની પણ જાહેરાત કરી છે. આ બ્રિજ વડોલી વાંક અને સાહોળ ગામ વચ્ચે આવેલો છે. તાજેતરમાં આ બ્રિજનો NDT (Non Destructive Test) હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં બ્રિજની સ્ટ્રક્ચરલ સ્થિતિ જૂની અને નબળી હોવાનું બહાર આવ્યું હતું. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્રએ તાત્કાલિક અસરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. જાહેરનામા પ્રમાણે, આ પ્રતિબંધ આગામી 14 નવેમ્બર સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન ભારે વાહનો તથા માલવાહક વાહનો માટે વૈકલ્પિક માર્ગ તરીકે અંક્લેશ્વરથી (NH-48) કીમ થઈને ઓલપાડ આવવા-જવા માટેનો માર્ગ અને ઓલપાડથી કીમ થઈને અંક્લેશ્વર (NH-48) આવવા-જવા માટેનો માર્ગ. તંત્રના જણાવ્યા પ્રમાણે સામાન્ય નાના વાહનો માટે હાલ અવરજવર ચાલુ રહેશે, પરંતુ ભારે વાહનો જેમ કે ટ્રક, કન્ટેનર, અને માલવાહક ટેન્કર માટે બ્રિજ પરથી પસાર થવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ આદેશનો ભંગ કરનાર સજાને પાત્ર ગણાશે. પોલીસ અને માર્ગ વિભાગને પણ ચકાસણી માટે સુચના આપવામાં આવી છે જેથી કોઈ ભારે વાહન પ્રતિબંધિત માર્ગ પર ન જઈ શકે. સ્થાનિક સ્તરે ટ્રાફિક ડાયવર્ઝનથી થોડી અસુવિધા થશે. કીમ નદી પરનો આ મેજર બ્રિજ અંક્લેશ્વર અને હાંસોટ વચ્ચેનો મહત્વનો માર્ગ જોડાણ છે, તેથી ભવિષ્યમાં બ્રિજની મરામત અથવા પુનઃનિર્માણ અંગે પણ ચર્ચા ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 6:06 am

સિટી એન્કર:કચ્છનું ચલણ ’ચાંદીની કોરી’ 400 વર્ષ પૂર્વે અ.વાદ ટંકશાળે બહાર પાડી હતી

આજે ધનતેરસ. દરેક પરિવાર લક્ષ્મી પૂજન કરીને સમૃદ્ધિના આશીર્વાદ મેળવે છે. ભારતમાં લોકશાહીની ચલણી નોટ અસ્તિત્વમાં આવી તે અગાઉ દેશના 18 સ્ટેટમાંથી એક કચ્છ સ્ટેટ પણ હતું કે જેનું ચલણ 1949 સુધી માન્ય હતું. 400 વર્ષના કચ્છી ચલણ પર નજર કરીએ તો ત્રાંબુ, ચાંદી અને સુવર્ણના સિક્કા કચ્છમાં બહાર પડ્યા છે. રાજ વંશજોએ તેમની આર્થિક નીતિ મુજબ ફેરફાર કરીને કચ્છ સ્ટેટના સિક્કાઓ બહાર પાડ્યા છે. સ્વતંત્ર ભારતમાં રૂપિયાના સિક્કા અને ચલણી નોટો બહાર પાડવામાં આવ્યા તે અગાઉ કચ્છ સ્ટેટના 400 વર્ષ જુના ચલણના ઇતિહાસ અંગે ભુજના હર્ષદભાઈ બુધ્ધભટ્ટી દ્વારા સંકલિત કરીને આપેલી માહિતી મુજબ ઈ.સ.1928માં યાંત્રિક ટંકશાળ શરૂ થઇ તે પહેલાં સિક્કા હાથ ઘડાઈથી બનતા. કલાકના 400 સિક્કા બહાર પાડે તેવી ટંકશાળની યંત્રસામગ્રી બર્મિંગહામથી આવી હતી. 2800 તોલાની ચાંદીની પાટમાંથી 2500 પાંચિયા બનાવવામાં આવતા. ટંકશાળ ખાનગી ખાતા હસ્તક હતી. દર પડવાને દિવસે બે નવી ડાઈ અને મુહૂર્તના 200 પાંચિયા બહાર પાડવામાં આવતા. કચ્છના પાંચિયામાં ચાંદીનું પ્રમાણ વિશેષ હતું તેથી તે પાંચિયા ગળાવા લાગ્યા. બનાવટી સિક્કા બનવા લાગ્યા. બનાવટ અટકાવવા પાછળથી ચાંદીનું પ્રમાણ ઘટાડી સિક્કાની કિનાર પર ‘કચ્છ સ્ટેટ’ લખવાનું શરૂ થયું. કચ્છમાં તાંબાના સિક્કા ખેંગારજી પહેલાના સમયથી જોવા મળે છે. કચ્છની સૌપ્રથમ ચાંદીની કોરી હિજરી સંવત 1027 (ઇ.સ. 1627)માં અમદાવાદ ટંકશાળે બહાર પાડી હતી. ખેંગારજીનાં પાંચિયામાં (7મા એડવર્ડના સમયમાં) સં. 1959થી 1966ની સાલના પાંચિયામાં ચાંદી ઘણી હોઈ તે મોટી સંખ્યામાં ગળાઈ ગયા. અત્યારે તે અલ્પ પ્રમાણમાં પ્રાપ્ય છે. રાવશ્રી ખેંગારજીએ પોતાની આકૃતિવાળા સિક્કા બહાર પાડવાનું વિચાર્યું હતું. બીજા વિશ્વયુદ્ધ બાદ ધાતુઓના ભાવમાં ઊછાળો આવતા ચલણ સલાહકાર મનુ સુબેદારની સૂચના અનુસાર રાવશ્રી વિજયરાજજીએ વજનમાં ઢબુ જેટલો જ પણ કિંમતમાં તેનાથી ચાર ઘણો ‘આધિયો’ (1/2 (1/2 કોરી)નો સિક્કો દાખલ કર્યો. વળી પાયલાનું (1/2 કોરી) નવું જ ચલણ દાખલ કર્યું અને ધાતુ બચાવવા આધિયા, ઢીંગલા, ઢબુ, પાયલા વચ્ચે કાણું રાખવામાં આવ્યું. દસ કોરી અને કોરીની નોટો પણ છપાઈ જે ભારતમાં રાજયના જોડાણની પ્રક્રિયાને લઇને અમલમાં ન આવ્યા. મહારાઓ પ્રાગમલજી પહેલાએ સોનાના સિક્કાનું ચલણ બંધ કર્યું. ફરીથી મહારાવ ખેંગારજી ત્રીજાના સમયમાં સોનાની કોરી છપાઈ હતી. જેની 1 કોરીની કિંમત ચાંદીની 26 કોરી થતી હતી. આ સિક્કાઓ ભારતને આઝાદી મળી ત્યાં સુધી 436 વર્ષના લાંબાગાળા સુધી ચલણનો હક્ક જાળવી રાખ્યો. 26મી એપ્રિલ 1949ના ચલણ બંધ થયું. આના-પૈસા ચાલુ રહ્યા. દશાંશ પદ્ધતિ 1 રૂા.=100 પૈસા ઇ.સ.1957માં અમલમાં આવ્યા.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 6:05 am

છેતરપિંડી:વેડરોડના કાપડના વેપારી સાથે અમદાવાદના વેપારીએ રૂપિયા 1.26 લાખની છેતરપિંડી કરી

વેડરોડ ફટાકડાવાડીમાં આવેલી મેટ્રો ક્રિએશનમાંથી ઉધારમાં રૂ.1.26 લાખની કિંમતના રેડિમેઇટ કપડા ખરીદી તેના નાણા નહીં ચૂકવી છેતરપિંડી કરનાર અમદાવદાના વેપારી સામે ચોકબજાર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. અડાજણ પાટિયા ધનમોરો સર્કલ પાસે આવેલી એટલાસ એપાર્ટમેન્ટમાં રહેતા મો. એઝાઝ અબુબકર તૈબાણી વેડ રોડ ફટાકડાવાડી રોયલ ઇન્ડસ્ટ્રીઝમાં મેટ્રો ક્રિએશનના નામે રેડિમેઇડ ગાર્મેન્ટનો ધંધો કરે છે. તા.30-8-2025ના રોજ તેમને કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાનું નામ કપીલ જૈન હોવાનું અને પોતે અમદાવાદથી બોલતા હોવાનું અને ધી શ્યામ એન્ટરપ્રાઇઝના નામે રેડિમેઇટ કપડાના ધંધો કરતા હોવાનું કહ્યું હતું. આ ઠગ કપીલે મીઠી મીઠી વાતો કરીને પોતાની અમદાવાદમાં સારી શાખ હોવાનું કહ્યું હતું અને પોતાનું વિઝિટિંગ કાર્ડ અને જીએસટી નંબર મોકલી આપ્યો હતો. મો.એઝાઝે વિશ્વાસ રાખીને કપીલને રૂ.1,26,171ના કપડા અમદાવાદ મોકલી આપ્યા હતા. જ્યારે કપીલે આ પૈસા આરટીજીએસથી મોકલી આપવા માટેની પહોંચ પણ મોકલી આપી હતી. જોકે, પૈસા તેમના ખાતામાં જમા થયા ન હતા. જ્યારે મો.એઝાઝે ઉઘરાણી શરૂ કરતા કપીલે ફોન કોલ રીસીવ કરવાનું બંધ કરી દીધું હતું.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 6:04 am

VNSGUમાં વેકેશન:VNSGUમાં 19થી 28 ઓક્ટોબર સુધી ઓફિસ કાર્ય અને ગ્રંથાલય બંધ રહેશે

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં દિવાળીનાં તહેવારને કારણે યુનિવર્સિટીનું વહીવટી કાર્ય તથા યુનિવર્સિટી લાઇબ્રેરી આગામી 19 ઓક્ટોબરથી 28 ઓક્ટોબર, 2025 સુધી બંધ રહેશે. આ સમયગાળામાં જાહેર રજાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કુલસચિવ દ્વારા જારી કરાયેલી અખબારી યાદી અનુસાર 29 ઓક્ટોબર, 2025થી યુનિવર્સિટીના તમામ વિભાગો, કચેરીઓ તથા લાયબ્રેરીનું નિયમિત કાર્ય રાબેતા મુજબ શરૂ થશે. દિવાળી વેકેશન દરમિયાન યુનિવર્સિટીના વહીવટી વિભાગો, શૈક્ષણિક વિભાગો અને વિવિધ ફેકલ્ટીઓમાં કામગીરી સ્થગિત રહેશે. આ સમયગાળામાં વિદ્યાર્થીઓ, પ્રોફેસરો તેમજ નોન-ટિચિંગ સ્ટાફને દિવાળીના તહેવારને ઉજવવા અને આરામ માટે સમય મળશે. કુલસચિવ દ્વારા જાહેર કરવામાં આવેલ સૂચનામાં વિદ્યાર્થીઓ તથા જાહેરજનતાને વિનંતી કરવામાં આવી છે કે, આ સમયગાળામાં યુનિવર્સિટી સાથે સંબંધિત કોઈપણ કાર્ય માટે યુનિવર્સિટી ખાતે ન આવે અને 29 ઓક્ટોબર પછી નિયમિત કાર્ય સમય દરમિયાન જ સંપર્ક કરે. આ રીતે યુનિવર્સિટીમાં તહેવારની રજાઓને કારણે સમગ્ર કેમ્પસમાં શાંતિ છવાશે અને 29 ઓક્ટોબરથી ફરી એકવાર શૈક્ષણિક વાતાવરણ ગૂંજશે.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 6:03 am

ઇમર્જન્સી કોલમાં થશે વધારો:તહેવારો વચ્ચે કચ્છમાં 108 એમ્બ્યુલન્સના ઇમર્જન્સી કોલમાં 60% નો થશે વધારો

કચ્છમાં દિવાળીના તહેવારો દરમિયાન એમ્બ્યુલન્સના ઇમર્જન્સી કોલમાં 50 થી 60% નો વધારો થવાની સંભાવના છે. જેને પહોંચી વળવા માટે 108 એમ્બ્યુલન્સની 95 ટીમો અને 315 કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. અને કર્મચારીઓની રજાઓ પણ કેન્સલ કરવામાં આવી છે. સામાન્ય રીતે કચ્છ જિલ્લામાં 108 એમ્બ્યુલન્સના દૈનિક સરેરાશ કોલ 165 થી 200 જેટલા હોય છે, જો કે તહેવારોના દિવસોમાં આ સંખ્યાનો નોંધપાત્ર ઉછાળો જોવા મળે છે. આ વર્ષમાં 20 અને 21 ઓક્ટોબરે દિવાળી અને બેસતા વર્ષ ના દિવસે 200 થી 250 કોલ અને 23 ઓક્ટોબર ભાઈ બીજના દિવસે 180 થી 230 કોલ મળવાનો અંદાજ છે. કચ્છ જિલ્લાના 108 પ્રોગ્રામ મેનેજર ભવર પ્રજાપતિએ જણાવ્યું હતું કે દિવાળીના રજાના માહોલ વચ્ચે પોલીસ ફાયર બિગેડ અને મેડિકલ સ્ટાફને જવાબદારી વધી જાય છે EMRI ગ્રીન હેલ્થ સર્વિસ108 એમ્બ્યુલન્સનો સ્ટાફ પણ આ સમયે વધુ એલર્ટ રહે છે. તહેવારો દરમિયાન અકસ્માત, ફટાકડા ફૂટવાથી શ્વાસને તકલીફ, મીઠાઈ અને ખાણીપીણીના કારણે પેટના દુખાવાની ફરિયાદો, દાજી જવાના કે ડાયાબિટીસ અને બીપી સંબંધિત ઇમરજન્સી કેસોમાં વધારો થતો હોય છે, લોકો આ સમયે ફરવા નીકળવા હોવાથી અકસ્માતના કિસ્સાઓ પણ વધે છે. આ સંભવિત ઇમરજન્સીને પહોંચી વળવા માટે 108 દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. જેથી આરોગ્ય સબંધી સેવાઓમાં કોઈ તકલીફ ના પડે. આ સમયે 108 ની ટીમ સતત સ્ટેન્ડ બાય રહીને સેવા પૂરી પાડશે.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 6:03 am

CBSEની પરિક્ષાઓની તારીખ જાહેર થઈ:CBSEની ધોરણ 10-12ની મૂલ્યાંકન પરીક્ષાઓ 1 જાન્યુઆરીથી શરૂ થશે

સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશને (CBSE)એ શૈક્ષણિક સત્ર 2025-26 માટે ધોરણ 10 અને 12ની પ્રાયોગિક (પ્રેક્ટિકલ) પરીક્ષાઓ, પ્રોજેક્ટ અને આંતરિક મૂલ્યાંકન (ઇન્ટર્નલ એસેસમેન્ટ) માટેની તારીખો જાહેર કરી છે. બોર્ડે જણાવ્યું છે કે ભારત તેમજ વિદેશની તમામ CBSE સંલગ્ન સ્કૂલોમાં પ્રાયોગિક પરીક્ષા, પ્રોજેક્ટ અને આંતરિક મૂલ્યાંકન 1 જાન્યુઆરી 2026થી શરૂ થશે, પરંતુ ઠંડા પ્રદેશોની સ્કૂલો માટે વિશેષ ટાઇમ ટેબલ નક્કી કરવામાં આવ્યું છે. જેથી પરીક્ષાઓ રજાઓ પહેલાં પૂર્ણ થઈ શકે. વિન્ટર સ્કૂલોમાં આ પરીક્ષાઓ 6 નવેમ્બરથી 6 ડિસેમ્બર 2025 સુધી યોજાશે, કારણ કે જાન્યુઆરી 2026 દરમિયાન આ સ્કૂલો વિન્ટર રજાઓને કારણે બંધ રહેશે. CBSEએ તમામ સ્કૂલો માટે પ્રાયોગિક પરીક્ષાઓ યોજવાની SOP અને વિગતવાર માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. તેમાં અંક અપલોડ કરવાની પ્રક્રિયા, બાહ્ય પરીક્ષકની નિમણૂક, પ્રાયોગિક ઉત્તરપત્રિકાની વ્યવસ્થા, અનૈતિક સાધનોનો ઉપયોગ અટકાવવા અને પરીક્ષાનું આયોજન કેવી રીતે કરવું તેની સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. CBSEએ વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે તેઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જઈને સંપૂર્ણ જાહેરનામું અને માર્ગદર્શિકા તપાસી શકે, જેથી તૈયારી સમયસર શરૂ કરી શકાશે. સ્કૂલો માટે મહત્વપૂર્ણ સૂચનાઓ • સ્કૂલોએ ધોરણ-10 અને 12ના તમામ વિદ્યાર્થીઓની અંતિમ યાદી તૈયાર કરીને બોર્ડની મોકલવાની રહેશે. • જે વિદ્યાર્થીઓના નામ LOC (List of Candidates)માં નથી, તેમને પ્રાયોગિક પરીક્ષા, પ્રોજેક્ટ કે આંતરિક મૂલ્યાંકનમાં બેસવા દેવા નહીં એટલે લીસ્ટ બનવાતી વખતે ખાસ તકેદારી રાખવાની રહેશે. • ધોરણ 10 માટેનો આંતરિક મૂલ્યાંકન માત્ર એક વખત જ યોજાશે, તેથી નક્કી કરાયેલા સમયગાળા દરમ્યાન જ માર્ક્સ અપલોડ કરવાના રહેશે, પાછળથી કોઈ વિવાદ ન થાય તે માટે સૂચના અપાઈ છે. • બાહ્ય પરીક્ષક અને સુપરવાઈઝરની નિમણૂક માટે સંબંધિત પ્રાદેશિક કાર્યાલય સાથે સંપર્ક રાખવો. મંજૂરી બાદ આ વ્યવસ્થા કરવાની રહેશે. • તમામ સ્કૂલોમાં પ્રાયોગિક પરીક્ષાઓ નક્કી કરેલા સમયસે જ પૂર્ણ થઈ જાય થાય તેની ખાતરી કરવી. • પરીક્ષા પૂર્ણ થઈ જાય પછી તમામ વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ પ્રાદેશિક કાર્યાલયને મોકલવાની રહેશે.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 6:02 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:16 સપ્ટેમ્બરે ફટાકડાના હંગામી લાયસન્સ માટે વેપારીઓ પાસેથી અરજી મંગાવાઈ, પણ લાયસન્સ 16 ઓક્ટોબર સુધી નથી અપાયા

દિવાળીના તહેવારો બારણે ઉભા છે, ત્યારે ભુજ શહેરમાં આજથી કોમર્સ કોલેજ પાસે હંગામી ફટાકડા બજાર શરૂ થઇ રહી છે, સામાન્ય રીતે ભુજમાં અગિયારસ અથવા વાઘ બારસથી જ હંગામી ફટાકડા બજાર શરૂ થઇ જાય છે. પણ આ વર્ષે હંગામી ફટાકડા બજાર શરૂ થાય તે પહેલા શહેરમાં લાયસન્સ કે મંજુરી વિના 100 વધુ સ્ટોલ શરૂ થઇ ગયા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. લાયસન્સ માટેની સરકારી વહીવટી પ્રકિયા લાંબી ચાલતા હંગામી ફટાકડા બજાર ધન તેરસથી શરૂ થઇ રહી છે. હંગામી ફટાકડા બજાર માટે માંગવામાં આવેલી અરજીઓમાં ભુજ અને માધાપરની કુલ 60 અરજીઓ મામલતદાર કક્ષાએ મળી હતી. જેમાં માધાપરમાં 23 અને ભુજમાં 37 અરજીઓ થઇ હતી. જેમાંથી હંગામી ફટાકડા બજારમાં માત્ર 21 વેપારીઓએ જ સ્ટોલ લગાવ્યા છે. બાકીના વેપારીઓ સ્વતંત્ર રીતે શહેરમાં અલગ અલગ જગ્યાએ સ્ટોલ ઉભા કરી દીધા છે. ગઈકાલે સાંજે ફાયર એનઓસી અને પોલીસનો અભિપ્રાય મળ્યા મોડી સાંજે વેપારીઓને લાયસન્સ મળ્યા હતા. ભુજ મામલતદાર દ્વારા 16 સપ્ટેમ્બરના જાહેરનામું બહાર પાડ્યું હતું અને હંગામી ફટાકડાના વેચાણ માટે લાયસન્સ લેવા ઇચ્છતા વેપારીઓને 1 ઓક્ટોબર સુધીમાં મામલતદાર કચેરીમાં ચલણ ભરીને આધાર પુરવા સાથેની અરજી આપવાની હતી. જો કે ત્યાર બાદ 15 દિવસનો સમય નીકળી જતા વેપારીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. આ અંગે હંગામી ફટાકડા બજારમાં સ્ટોલ ધરવતા વેપારીઓએ જણાવ્યું હતું કે લાયસન્સની પ્રકિયા મોડી થતા આ વર્ષે ધન તેરસથી બજાર શરૂ થઇ રહી છે. ગઈકાલે સાંજે ફાયર એનઓસી અને પોલીસનો અભિપ્રાય મળ્યા બાદ વેપારીઓને લાયસન્સ આપવામાં આવ્યા હતા. ભુજ શહેરમાં 80થી 100 જેટલા સ્ટોલ પર હંગામી લાયસન્સ વિના જ ફટાકડા વેચતા વેપારીઓની ચકાસણી માટે વિવિધ ટીમો બનાવામાં આવી છે. શહેરમાં ફટાકડાના સ્ટોલની વિઝીટ કરીને આધાર પુરાવાની ચકાસણી કરશે, અને જો કોઈ વેપારી અનાધિકૃત રીતે ફટાકડા વેચાતો જણાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પ્રાંત અધિકારી અનીલ જાદવે જણાયું હતું. વેપારીઓએ લાયસન્સ માટે પોલીસનો અભિપ્રાય જ મોડો આપ્યો: પ્રાંત અધિકારીવેપારીઓને વાઘ બારસની સાંજે મળેલા લાયસન્સ બાબતે પ્રાંત અધિકારી અનીલ જાદવને પૂછતાં તેમણ જણાવ્યું હતું કે વેપારીઓએ ગઈકાલ સાંજે જ પોલીસનો અભિપ્રાય આપ્યો હતો. જેના કારણે હંગામી લાયસન્સ આપવામાં થોડું મોડું થયું છે. જો કે જેમની અરજીઓ અને અભિપ્રાય આવી ગયા છે, તેવા વેપારીઓને અમારી કક્ષાએ લાયસન્સ આપી દેવામાં આવ્યા છે. લાખોના ફટાકડા વેચવા માટે 3 દિવસ મળ્યાહંગામી ફટાકડા બજાર સામાન્ય રીતે 5 દિવસ સુધી ચાલે છે. જો કે આ વર્ષે વેપારીઓને લાખો રૂપિયાના મંગાવેલા ફટાકડાને વેચવા માટે માત્ર ૩ દિવસનો જ સમય મળશે. નાના વેપારીઓને આશા હતી કે ફટાકડાનું વેચાણ શરૂ થશે તો દિવાળી સારી જશે. પણ હવે હાલત એવી છે કે ફટાકડાનો સ્ટોક પણ ૩ દિવસમાં વેચાય તેવી શક્યતા નથી. એક સ્ટોલ ધારકને 20 હજારનો ખર્ચેકોમર્સ કોલેજ પાસે ઉભી કરાયેલી હંગામી ફટાકડા બજાર માટે વેપારીઓને વેચાણ માટેનું ચલણ, લાઈટ, મંડપ, ડેકોરેશન સહિતનો ૩ દિવસનો ખર્ચ જ માત્ર 18થી 20 હજારનો થઇ ગયો છે. અને હવે 3 દિવસમાં આ ખર્ચ કાઢીને કેટલા ફટાકડાનું વેચાણ થાય છે તે સમસ્યા વેપારીઓને સતાવી રહી છે.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 6:00 am

હાઇબ્રીડ ગાંજો ઝડપાયો:ઉગત કેનાલ રોડ ઉપરથી 7 લાખના હાઇબ્રીડ ગાંજા સાથે ક્રાઇમ બ્રાંચે બેને ઝડપી પાડ્યા

સુરત ક્રાઇમ બ્રાંચે ઉગત કેનાલ રોડ પર પરથી રૂ.7.08 લાખની કિંમતના ગાંજા સાથે બે જણાને પકડી પાડ્યા હતા. જ્યારે આ ગાંજો આપનારને વોન્ટેડ જાહેર કર્યો છે. ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતીકે, રાંદેર ઉગત કેનાલ રોડ ઉપર આ‌ેલી સી.સી.કલ્ચર બોક્સ, ક્રિકેટ એકેડમીની સામે બે શખ્સો ગાંજો લઇને આવવાના છે. ત્યાં મોપેડ પર આવેલા મીતુલ ભાવેશ સિધ્ધપુરા (ઉવ.22 રહે,અક્ષત હાઇટ્સ,ડભોલી ચાર રસ્તા સિંગણપોર) અને યશ ધીરજ વાઘેલા (ઉવ.22, રહે, સહજાનંદ સોસાયટી ડભોલી)ને પકડી પાડ્યા હતા. પોલીસે તેની પાસેની મોપેડ ચેક કરતા તેમાંથી રૂ.7,08,930ની કિંમતનો 236.310 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આ ગાંજો મોપેડ અને મોબાઇલફોન મળી કુલ રૂ.8,39,130નો મુદ્દામાલ કબજે લઇને બંનેની ધરપકડ કરી છે. આ ગાંજો સિંગણપોર કૃતિ રેસીડેન્સીમાં રહેતા યશરાજ ઉર્ફે રાજ રણજીત રાઠોડ પાસેથી વેચવા લાવ્યો હતો. યશરાજ મિત્ર હોવાથી યશ આ ધંધામાં આવ્યોપોલીસના હાથે પકડાયેલો યશ વાધેલા એ બી.એસસી સુધીનો અભ્યાસ કર્યો છે. તે ફોટોગ્રાફર અને ડીલીવરી બોય તરીકે કામ કરે છે. યશરાજ તેનો મિત્ર હોવાથી તેના કહેવાથી ઓછી મહેનતે પૈસા કમાવવા માટે ગાંજાના ધંધામાં આવ્યો હતો. અને મિતુલ સાથે છુટક વેચવોના ધંધો કરતો હતો. જ્યારે મિતુલ ધોરણ 10 સુધી ભણેલો છે.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 6:00 am

નાસિકમાં નિર્મિત સર્વપ્રથમ ફાઇટર એરક્રાફ્ટ 'તેજસ'નું ટેક ઓફ

ભારતનું સંરક્ષણ ઉત્પાદન ૧.૫૦ લાખ કરોડને પાર સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પ્લેનને ફ્લેગ-ઓફ કરવાની સાથે ફાઇટર અને ટર્બો ટ્રેનરની ઉત્પાદન લાઇનનું ઉદ્ઘાટન કર્યું મુંબઇ - સંરક્ષણ ક્ષેત્રે ભારત આત્મનિર્ભરતાના એક પછી એક સીમાચિહ્ન સર કરી રહ્યું છે તેની સાક્ષી રૃપે નાસિકમાં હિન્દુસ્તાન એરોનોટીક્સ લિમિટેડ દ્વારા નિર્મિત સર્વપ્રથમ લાઇટ કોમ્બાટ એરક્રાફ્ટ તેજસ (એમકે ૧-એ)એ આજે ઉડ્ડયન કર્યું હતું. અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ અને પ્રચંડ મારક ક્ષમતા ધરાવતા તેજસ (એમકે ૧-એ) ફાઇટર પ્લેનને આજે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ફ્લેગઓફ કર્યા બાદ સંબોધન કરતા જણાવ્યું હતું કે ભારત સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનતું જાય છે તેનું આ ઝળહળતું ઉદાહરણ છે.

ગુજરાત સમાચાર 18 Oct 2025 6:00 am

વધુ એક ગુજરાતી બિઝનેસમેને પ્રાઈવેટ જેટ ખરીદ્યું:પાટીદાર હીરાના વેપારી ફોર સીટર પ્લેનમાં ઉડશે, DA-42 મોડલનું બીજું પ્લેન સુરતમાં લેન્ડ

તમે ઘણા ઉદ્યોગપતિ અને બોલિવૂડ સેલિબ્રિટીઓને ચાર્ટર્ડ પ્લેનમાં ફરતા તેમજ પ્લેન સાથેની તેમની તસવીરો અને વીડિયો જોયા હશે. તમે ઘણા લોકોને એવું પણ કહેતા સાંભળ્યા હશે કે વ્યક્તિ પાસે પોતાનું એક પ્લેન હોય તેટલું અમીર હોવું જરૂરી છે, ત્યારે સુરતના હીરા ઉદ્યોગપતિઓ પણ પોતાના પ્રાઈવેટ પ્લેન ખરીદી રહ્યા છે. તાજેતરમાં જ નવરાત્રિ દરમિયાન સુરતના એક ઉદ્યોગપતિ દ્વારા પ્રાઇવેટ પ્લેન ખરીદવામાં આવ્યું છે. આ 4 સીટર પ્લેનની એન્ટ્રી થતાં જ આ મોડલનું બીજું પ્લેન સુરતમાં લેન્ડ થયું છે. આ પ્લેનની અંદાજિત કિંમત 4થી 5 કરોડ છે. તમને જણાવી દઈએ કે, આ પ્લેન સુરતના ધર્મનંદન ડાયમંડના માલિક લાલજીભાઈ પટેલના દીકરા એટલે કે, ધર્મનંદન ડાયમંડ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર હિતેશ પટેલે ખરીદ્યું છે. DA-42 ફોર સીટર પ્લેનનું સુરત એરપોર્ટ પર લેન્ડિંગહિતેશ પટેલ દ્વારા DA-42 ફોર સીટર પ્લેનની ખરીદી કરવામાં આવી છે. જેનું સુરત એરપોર્ટ પર લેન્ડિંગ કરાયું છે. આ પ્લેનની અંદાજિત કિંમત 7 કરોડ રૂપિયા છે. જ્યારે હિતેશ પટેલ દ્વારા ખરીદવામાં આવેલું આ પ્લેન ત્રણ વર્ષ જુનું છે જેથી તેની અંદાજિત કિંમત 4થી 5 કરોડ રૂપિયા જેટલી થાય છે. PM મોદીનો સૂટ ખરીદીને ચર્ચામાં આવ્યાસુરતના વસતા દેવડી રોડ પર આવેલી ધર્મનંદન ડાયમંડ કંપનીના માલિક કે જેઓ લાલજી પટેલ ઉગામેડી તરીકે જાણીતા છે. ધર્મનંદન ડાયમંડ કંપનીના માલિક લાલજીભાઈ પટેલ PM મોદીનો સૂટ ખરીદીને ચર્ચામાં આવ્યા હતા. હાલ પણ PM મોદીનો સૂટ ખાસ બુલેટપ્રૂફ કાચની અંદર કંઈ ન થાય તે રીતે રાખવામાં આવ્યો છે. PMનો કિંમતી સૂટ સુરતના હીરા ઉદ્યોગપતિ પાસે છેવર્ષ 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેરેલો સૂટ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ સૂટ પર તેમના આખા નામ 'નરેન્દ્ર દામોદરદાસ મોદી'ના અક્ષરો ઝીણવટપૂર્વક વણાયેલા હતા અને તેની કિંમતને લઈને વિપક્ષે જોરદાર ટીકા કરી હતી. આ વિવાદિત સૂટ આજે પણ ચર્ચામાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 4.30 કરોડનો આ કિંમતી સૂટ સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ લાલજીભાઈ તુલસીભાઈ પટેલ પાસે છે. સામાન્ય રીતે મોંઘી વસ્તુઓને તિજોરીમાં કે બેંકના લોકરમાં રાખવામાં આવે છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે, વડાપ્રધાન મોદીના આ કરોડો રૂપિયાના સૂટને હરાજીમાં ખરીદ્યા બાદ લાલજીભાઈએ પોતાના કતારગામ ખાતે આવેલા ધર્મનંદન ડાયમંડની ઓફિસમાં જ મૂક્યો છે. હીરા કરતાં પણ વધુ કિંમતી સૂટ બુલેટપ્રૂફ બોક્સમાં મૂકાયોઆશ્ચર્યની વાત એ છે કે, આ સૂટ એક ખાસ બુલેટપ્રૂફ બોક્સમાં રાખવામાં આવ્યો છે. એક એવી કંપની, જે કિંમતી હીરા અને ઝવેરાત બનાવે છે, તેના માટે હીરા કરતાં પણ વધુ બહુમૂલ્ય આ સૂટ છે. આ જ કારણ છે કે, આ કંપનીની અંદર એક ખાસ બુલેટપ્રૂફ કાચના બોક્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ કિંમતી સૂટ રાખવામાં આવ્યો છે. કેવી રીતે ચર્ચામાં આવ્યો આ સૂટ?વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ સૂટ 10 વર્ષ પહેલાં ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેમણે આ સૂટ પહેરીને તત્કાલીન અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને મળ્યા હતા. સૂટ પર સોનેરી રંગમાં આડાઅવળાં અક્ષરોમાં 'નરેન્દ્ર મોદી' નામ અંકિત હતું, જેણે વિપક્ષને ટીકા કરવાનો મોકો આપ્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષના દરેક નેતાઓએ આ મોંઘા સૂટને લઈ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. જોકે, આ સૂટ વાસ્તવમાં સુરતના એક ઉદ્યોગપતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ સ્વરૂપે આપ્યો હતો. વડાપ્રધાન મોદીને જે પણ ભેટ મળે છે, તેઓ તેની હરાજી કરે છે. વર્ષ 2015માં તેમણે આવી અનેક વસ્તુઓની હરાજી કરી હતી, જેમાં આ સૂટ પણ સામેલ હતો. 4.30 કરોડની બોલી અને ગિનીસ બુકમાં નામત્રણ દિવસ સુધી ચાલેલી આ હરાજી પ્રક્રિયામાં સુરતના હીરા ઉદ્યોગપતિ લાલજીભાઈએ બોલી લગાવીને આ સૂટને 4.3 કરોડ રૂપિયામાં ખરીદ્યો. આ હરાજીમાંથી એકઠું થયેલું ફંડ 'સ્વચ્છ ગંગા' અભિયાન માટે વાપરવામાં આવ્યું હતું. આટલી મોટી કિંમતમાં હરાજીમાં વેચાયેલો આ સૂટ પોતાની રીતે અનોખો છે અને આ જ કારણોસર તેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સામેલ કરાયું છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પ્રમાણે આ વિશ્વનો અત્યાર સુધીનો સૌથી મોંઘો સૂટ છે. જે બુલેટપ્રૂફ બોક્સમાં આ સૂટ રાખવામાં આવ્યો છે, તે બોક્સ અને તેની અંદરનો માહોલ 10 વર્ષ પહેલાં જેવો જ છે. સૂટ આજે પણ તે જ ચમક અને સ્થિતિમાં જોવા મળે છે. જાણો કોણ છે લાલજીભાઈ પટેલલાલજીભાઇ પટેલનો જન્મ ભાવનગર જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલા ઉગામેડીમાં 28 નવેમ્બર 1955માં થયો હતો. તે વખતે પરિવારની આર્થિક સ્થિતિ બિલકુલ સારી નહોતી. પિતા ખેડૂત હતા. તેઓ 1 થી 8 ધોરણ ઉગામેડી ગામમાં જ ભણ્યા અને 9 અને 10 ધોરણ રાજકોટ ગુરુકુળમાં રહીને અભ્યાસ કર્યો. તેમનો અભ્યાસ 10 સુધીનો જ છે. પરિવારની આર્થિક સ્થિત બહુ સારી નહોતી એટલે બીજી કોઇ સુવિધાનો વિચાર પણ થઇ શકે તેમ નહોતો, પરંતુ બાળપણમાં જ તેમને કદાચ ઈશ્વરે એક ભેટ આપેલી અને એ ભેટ હતી ધગશ. લાલજીભાઇ પટેલને બાળપણમાં સપનેય ખ્યાલ નહોતો કે તેઓ એક દિવસ અબજોમાં આળોટતા હશે, પરંતુ તેમની અંદર રહેલી ધગશે તેમને ઊંચાઇએ પહોંચવામાં મદદ કરી. તેમની પાસે નાનપણમાં એક સાયકલ માત્ર હતી. ધર્મનંદન ડાયમંડ આજે દુનિયાની ટોચની કંપનીઓમાં સામેલ છે અને લાલજીભાઇ પટેલ પણ ટોચના ડાયમંડ ઉદ્યોગકારોમાં સામેલ છે, 10મું ધોરણ પત્યા પછી પિતાએ કહ્યું કે હીરાના ધંધામાં તારે જવું જોઇએ. એટલે ભાવનગર હીરા ઘસવાનું શીખવા ગયા. પરંતુ તેમની ધગશ કામ લાગી, જે હીરા ઘસવામાં બીજા લોકોને 4 મહિના લાગતાં હતા તે તેઓ એક જ મહિનામાં શીખી ગયા. તે વખતે તેઓ હીરાને ઘાટ આપવાનું શીખ્યા અને કદાચ જિંદગીનો ઘાટ પણ ઘડાઇ રહ્યો હતો. નવેક મહિના ભાવનગર રહ્યા અને એ પછી તેમના ગામ ઉગામેડીમાં કારખાનામાં કામ કર્યું. 1973માં સુરત પહોંચ્યા અને સૈયદપુરા વિસ્તારમાં આવેલી બોરડી શેરીમાં એક કારખાનામાં હીરા ઘસવા બેઠા. સુરતમાં એ જમાનામાં હીરાના ખાસ કારખાના નહોતા. માત્ર સૈયદપુરા, હરીપુરા, મહિધરપુરા વિસ્તારમાં થોડા કારખાના હતા. તે વખતે વરાછા, કતારગામ કે અશ્વનીકુમાર વિસ્તારોમાં કારખાનાની શરૂઆત નહોતી થઇ. બોરડી શેરીના કારખાનામાં લગભગ 2 વર્ષ કામ શરૂ કર્યું અને એ પછી મહિધરપુરા થોભા શેરીમાં 2 ઘંટીથી પોતાનું કારખાનું શરૂ કર્યું. એ પછી કાછિયા શેરી અને એ બાદ પંડોળ ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટમાં હીરાનું કારખાનું શરૂ કર્યું હતું.1985માં જ્યારે કારખાનું ચાલતું ત્યારે શ્રીજી જેમ્સ નામ રાખવામાં આવ્યું એ પછી 1992માં ધર્મનંદન ડાયમંડ નામ રાખ્યું. 2004માં કતારગામ વિસ્તારમાં ડાયમંડની આધુનિક અને આંતરારાષ્ટ્રીય કક્ષાની ડાયમંડ ફૅક્ટરી ઊભી કરી. લાલજીભાઇ પટેલ સુરત સમસ્ત પાટીદાર સમાજના સ્થાપક પ્રમુખ બન્યા હતા અને 18 વર્ષ સુધી પ્રમુખ રહ્યા. સમાજના લોકોને નાની નાની રકમની લોન આપીને જિંદગીમાં પગભર કર્યા. તેમનું સર્વશ્રેષ્ઠ કામ એ પણ હતું કે સમાજમાં સદીઓથી ચાલતા સ્ત્રીભૃણ હત્યા અટકાવવા માટે તેમણે ટીમ સાથે મોટી જહેમત ઉઠાવી હતી. 1 જાન્યુઆરી 2006માં તેમણે મહાપ્રસાદનો ભવ્ય લાડુ બનાવીને 4 લાખથી વધારે પાટીદારોને ભેગા કરીને શપથ લેવડાવ્યા હતા કે અમે ક્યારે સ્ત્રીભૃણ હત્યા કરીશું નહીં. સમાજ માટે આ સૌથી મોટું કામ હતું. અલબત, ઘણા બધા લોકો આ ભગીરથ કાર્યમાં જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 6:00 am

યુવા ઉદ્યોગપતિઓ વચ્ચે એકતા, પ્રગતિ, સહકાર વધારવા પ્રયાસ:GPBOની કોર્પોરેટ વીંગ સુરતનો દિવાળી ઉજવણી કાર્યક્રમ યોજાયો

ઉદ્યોગ, વ્યાપાર અને બિઝનેસના માધ્યમથી યુવાનોનો આર્થિક વિકાસ થાય તે હેતુસર સરદારધામ દ્વારા ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન કાર્યરત છે. આજના સમયમાં યુવા સાહસિકોને યોગ્ય માર્ગદર્શન, પ્લેટફોર્મ અને નેટવર્કિંગના અવસરો ઉપલબ્ધ કરાવવાનો લક્ષ્ય સમુદાયના ટોચના ઉદ્યોગપતિઓને એક મંચ પર લાવવાનો છે,. આ દ્રષ્ટિ અને જોડાણની ભાવનાને ઉજાગર કરવા GPBOની કોર્પોરેટ સુરત વિંગ દ્વારા કામરેજ સ્થિત ધ ફર્ન વિશ્રાંતા રિસોર્ટ ખાતે તેજસ્વ પ્રિ-દિવાળી સેલિબ્રેશનનો કાર્યક્રમ યોજાયો હતો. સાથે ચમકી ઊઠીએ, સાથે ઉજવણી કરીએ એવા સંદેશ સાથે યોજાયેલ આ સાંજ પ્રકાશ, આનંદ અને એકતાના રંગોથી છલકાતી રહી. સભ્યો અને એમના પરિવારજનોની ઉપસ્થિતિ વચ્ચે હાસ્ય, સંગીતમય સંધ્યા અને ભોજન સમારંભે સૌને આનંદિત કર્યા હતા. જીપીબીઓ કોર્પોરેટનો આ કાર્યક્રમ યુવા ઉદ્યોગપતિઓ અને વ્યાવસાયિકો વચ્ચે એકતા, પ્રગતિ અને સહકાર વધારવા માટેના સતત પ્રયાસનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. તેજસ્વ જેવી ઉજવણીઓ GPBOના દ્રષ્ટિકોણ સંપર્ક, વિકાસ અને સમાજ ઉન્નતિ ને જીવંત બનાવે છે અને દરેક સભ્યને નવા ઉત્સાહ, જોડાણ અને પ્રેરણાથી આગળ વધવા પ્રેરિત કરે છે.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 5:58 am

દુષ્કર્મના આરોપીને સજા:કેરાની વાડીમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનારને 20 વર્ષ કેદની સજા

તાલુકાના કેરા ગામની સીમમાં વાડીમાં આઠ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરનાર મુળ કોટડા(ચ)ના અને હાલ માધાપરમાં રહેતા આરોપીને કોર્ટે 20 વર્ષની સખત કેદ અને 1 લાખનો દંડ ફટકાર્યો છે. 14 નવેમ્બર 2024 ના આરોપી શામજી જુસા સાલીયા(કોલી) વિરુદ્ધ માનકુવા પોલીસ મથકે ગુનો નોધાયો હતો. આરોપી ફરિયાદીની આઠ વર્ષીય ભત્રીજી અને પાંચ વર્ષીય ભત્રીજાનું અપહરણ કરી કેરા ગામની સીમમાં આવેલ વાલજીભાઈ લાલજીભાઈ કેરાઈની વાડીમાં લઇ ગયો હતો. જે બાદ ફરિયાદીના ભત્રીજાને એરંડાના ખેતરની બહાર ઉભો રાખ્યો હતો અને ફરિયાદીની ભત્રીજી સાથે દુષ્કર્મ આચર્યો હતો.જે મામલે ગુનો નોધાયા બાદ તપાસ કરનાર પીઆઈ ડી.એન.વસાવા દ્વારા ચાર્જશીટ કરવામાં આવી હતી. આ કેસમાં ભુજની કોર્ટે 23 દસ્તાવેજી પુરાવા અને 10 સાક્ષીઓ તપાસી અઆરોપીને 20 વર્ષની સખત કેદ અને રૂપિયા 1 લાખનો દંડ ફટકાર્યો છે.આ ઉપરાંત કોર્ટે ભોગ બનનારને 4 લાખ વળતર ચુકવવા માટે ડીએલએસએ ને ભલામણ કરવા અને સીડબ્લ્યુસી તથા ડીસીપીયુ ને જીવન અને શિક્ષણ મામલે કાળજી લેવા હુકમ કર્યો છે.આ કેસમાં પ્રોસીક્યુશન તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી.જાડેજા હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 5:57 am

રક્તદાન કેમ્પનું આયોજન:ચલમવાડ યુવક મંડળે કેમ્પમાં 1008 યુનિટ રક્ત એકત્ર કર્યું

ચલમવાડ યુવક મંડળે આજે સલાબતપુરા વિસ્તારમાં આવેલી સિંગાપુરી વાડી ખાતે રક્તદાન કેમ્પ યોજ્યો હતો. 1008 યુનિટ રક્ત એકત્રિત કરી માનવ સેવાનો અનોખો સંદેશ આપ્યો છે. રક્તદાન અભિયાનમાં શહેરના અનેક મિત્રો મંડળો, સામાજિક સંસ્થાઓ તથા સેવાભાવી યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અગાઉના વર્ષમાં પણ મંડળે એટલા જ પ્રમાણમાં રક્ત એકત્રિત કરીને ‘એક જ દિવસે સર્વાધિક રક્ત એકત્ર કરનાર સંસ્થા’ તરીકે સુરત રક્તદાન કેન્દ્રનું પ્રથમ ઈનામ જીત્યું હતું. વર્ષ 2014થી દર વર્ષે આ મંડળ એક દિવસમાં સર્વાધિક રક્ત એકત્ર કરવા બદલ સુરત રક્તદાન કેન્દ્ર પાસે એવોર્ડ મેળવે છે. ચલમવાડ યુવક મંડળના સંચાલકોએ જણાવ્યું કે, ‘દરેક સ્વસ્થ યુવાને દર વર્ષે ઓછામાં ઓછું એક વાર રક્તદાન કરવું જોઈએ’.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 5:57 am

રહીશોને હાલાકી:મુન્દ્રા રિલોકેશન સાઇટમાં માર્ગો પર ખાડાથી રહીશોને પારાવાર હાલાકી

ભુજની મુન્દ્રા રિલોકેશન સાઇટ તેમજ પ્રમુખ સ્વામી નગર, આશાપુરા સ્કૂલથી ભાટિયા મહાજનવાડીના માર્ગે વરસાદના પગલે ઠેર ઠેર ખાડા પડી જતાં આ વિસ્તારના રહીશો હાલાકી ભોગવી રહ્યા છે. લોકોને આશા હતી કે, દીપોત્સવ પૂર્વે ખાડામાં માટી પૂરવામાં આવશે પણ કોઇ કાર્યવાહી કરાઇ નથી. નગર પાલિકાની આગામી ચૂંટણી પહેલાં રોડ રિસર્ફેસિંગનું કામ હાથ ધરવામાં આવે તેવી માગ ઉઠી છે. તાજેતરમાં એક સ્કૂટર સવાર વરિષ્ઠને ખાડાના કારણે અકસ્માત નડતાં કમરના ભાગે ઇજા પહોંચી હતી. ખાડામાં અગાઉની જેમ કાંકરા નાખવાના બદલે માટી નાખવામાં આવે અને તેવી આ વિસ્તારના રહેવાસીઓને અપેક્ષા છે.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 5:56 am

વાહન પાર્કિંગ:25 વર્ષ થયા શહેરના 30 પાર્કિંગ પ્લોટ માત્ર કાગળ પર !

શહેરમાં છેલ્લા 25 વર્ષથી પાર્કિંગ પ્લોટ માત્ર કાગળ પર છે. ભાડાએ 2011માં 30 નાના મોટા પાર્કિંગ પ્લોટ નગરપાલિકાને સોંપી દીધા, તો પાલિકા તે જમીન લોકોપયોગી બને તે માટે હજુ સુધી નિષ્ક્રિય છે. દિવાળીના દિવસોમાં શહેરમાં વાહન પાર્કિંગ પોલીસ માટે પડકાર છે, ત્યારે અઢી દાયકે પણ ટ્રાફિકની સમસ્યાથી ભુજવાસીઓને છૂટકારો મળ્યો નથી. વર્ષોથી ચૂંટાયેલા નેતા ખાલી વાયદા અને વચનો આપી છૂટા થઈ જાય છે. ભૂજ એરીયા ડેવલોપમેન્ટ ઓથોરીટી દ્વારા 30 પાર્કિંગ પ્લોટ ભુજ નગરપાલિકાને સોંપવામાં આવ્યા હતા. પંરતુ વહીવટી તંત્રના સંકલનના અભાવે આજ સુધી ભુજ શહેરને પાર્કિંગ પ્લોટ પર દબાણ થઈ ગયું ત્યાં સુધી કોઈ પરવા નથી કરાઈ. દિવાળી પર્વ નિમિત્તે ખરીદી માટે બજારમાં આવતા લોકો તેમ જ પ્રવાસન ઋતુ પણ શરૂ થઈ ગઈ છે, ત્યારે ભુજ ખાસ ખરીદી માટે આવતા પ્રવાસીઓને પાર્કિંગની સુવિધા હોવી જરૂરી છે. ભૂજ એરીયા ડેવલોપમેન્ટ ઓથોરીટીએ શહેરના દરેક વિસ્તારમાં આયોજનબદ્ધ પાર્કિંગ પ્લોટ ફાળવ્યા છે. સોનીવાડ, છછ ફળિયા, ભીડ ફળિયા, છઠ્ઠી બારી, ખત્રી ચકલા, પંચ હટડી, લોહાર ચકલા, તળાવ શેરી, અનમ રીંગ રોડ એમ કુલ 30 જગ્યાએ ભૂજ એરીયા ડેવલોપમેન્ટ ઓથોરીટીએ પાર્કિંગ વ્યવસ્થા માટે નાની મોટી જગ્યા ફાળવી છે. જો કે આ જગ્યાઓ પર આજ સુધી પાર્કિંગ માટે સુચારુ રીતે વ્યવસ્થા ઊભી થઇ નથી. રોડ ટચ પાર્કિંગ પ્લોટ પર દબાણ કરી 7 હજાર ભાડામાં દુકાનો અપાઈ પણ ગઈ છે. ભુજના વેપારી મંડળોએ પણ અનેક રજૂઆતો કરી છે. પંરતુ સંકલનના અભાવે આ કામ થયું નથી. જેના કારણે કોટ વિસ્તારમાં વેપારીઓને વેપાર ઉપર અવળી અસર થાય છે. ત્રણ વર્ષ પહેલા નગરપાલિકા પ્રમુખ દ્વારા નાની સાઈઝના પાર્કિંગ પ્લોટ અને ફંડના અભાવે સુવિધા ઉભી નથી થઈ શકી એવું કબૂલ્યું હતું. વ્યવસ્થા માટે નાની મોટી જગ્યા ફાળવી છે. જો કે આ જગ્યાઓ પર આજ સુધી પાર્કિંગ માટે સુચારુ રીતે વ્યવસ્થા ઊભી થઇ નથી. રોડ ટચ પાર્કિંગ પ્લોટ પર દબાણ કરી 7 હજાર ભાડામાં દુકાનો અપાઈ પણ ગઈ છે. ભુજના વેપારી મંડળોએ પણ અનેક રજૂઆતો કરી છે. પંરતુ સંકલનના અભાવે આ કામ થયું નથી. જેના કારણે કોટ વિસ્તારમાં વેપારીઓને વેપાર ઉપર અવળી અસર થાય છે. ત્રણ વર્ષ પહેલા નગરપાલિકા પ્રમુખ દ્વારા નાની સાઈઝના પાર્કિંગ પ્લોટ અને ફંડના અભાવે સુવિધા ઉભી નથી થઈ શકી એવું કબૂલ્યું હતું. સૌથી મોટો 713 અને સૌથી નાનો 10.62 ચોરસ મીટરનો પાર્કિંગ પ્લોટભાડાએ જ્યારે ટાઉન પ્લાનિંગ કર્યું ત્યારે રસ્તાઓનું વિસ્તૃતિકરણ કરવામાં આવ્યું. ધ્વસ્ત થઈ ગયેલા મકાન અને દુકાનનો નાનો મોટો ભાગ રીંગરોડમાં સમાઈ જતા બાકીની વધેલી જગ્યા તે જમીન માલિકને અન્ય જગ્યાએ ફાળવવામાં આવી અને અમુક એવી જમીન કે જે કોઈને ફાળવી ન શકાઈ ત્યાં પાર્કિંગ પ્લોટ નિશ્ચિત કરવામાં આવ્યા. સૌથી નાનું પાર્કિંગ પ્લોટ અનમ રીંગરોડ પર રીધમ કલેક્શન પાસે 10.62 ચોરસ મીટરનું છે, તો સૌથી મોટું અનમ રીંગરોડ પર અફીણ વાળી શેરીમાં ગોટી શોરૂમ પાસે 713.55 ચોરસ મીટરનો છે.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 5:55 am

મંત્રીમંડળમાં રાજકોટ મીંડું પણ વજુભાઈએ વટ પાડ્યો!:અર્જુન મોઢવાડિયાએ બે દાયકે લીલીપેન પકડી, કાંતિ અમૃતિયાએ શપથ લેતા લોચો માર્યો, નામ બે વખત બોલ્યા

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 5:55 am

અનેક કોલસાના આયાતકારો ITના રડાર પર:ઉદ્યોગોમાં ઈમ્પોર્ટ કરાતા કોલનો વાર્ષિક આંક 50 લાખ ટનને પાર

શહેરમાં કોલસા પર નભતી ઇન્ડસ્ટ્રીઝના લીધે વિદેશથી આયાત થતા કોલ સપ્લાયનો આંક વર્ષે 50 લાખ ટનને પાર થઈ ગયો છે. શહેરમાં મોટાભાગનો કોલસો ઇન્ડોનેશિયાથી આયાત કરવામા આવે છે. આયાતી કોલસો સરકારની રેવન્યુ પણ વધાવી રહ્યો છે અને મેરિટાઇમ બોર્ડને હેન્ડલિંગ સહિત કેટલાંક ચાર્જની રૂપિયા 30 કરોડની વાર્ષિક આવક થાય છે અને કોલસાનથી વધતી જતી ડિમાન્ડના લીધે આ ફિગર આવનારા સમયમાં વધે એવી પણ શક્યતા છે. દરમિયાન હાલ કેટલીક ડાઇંગ મિલો કોલસા આધારિત સ્ટીમ સિસ્ટમને પણ લાગુ કરી રહી છે. કોલસાનો વિકલ્પ મળતો નથીઉદ્યોગકારો કહે છે કે હાલ કોલસાનો વિકલ્પ મળતો નથી, અગાઉ ગેસ આધારિત પ્લાન્ટ ચલાવવાની કોશિષ કરી હતી, પરંતુ તે ભાવ વધતા ખર્ચાળ સાબિત થયું હતું. આથી ફરી કોલસા આધારિત સિસ્ટમ પર આવવું પડ્યું હતું. મહત્તમ કોલસો ઇન્ડોનેશિયાનોઉદ્યોગ જગતના સૂત્રો કહે છે કે આમ તો કોલસા નિકાસકાર દેશ તરીકે ઇન્ડોનેશિયા બાદ અમેરિકા તથા બીજા દેશો પણ છે પરંતુ ઇન્ડોનેશિયાનો કોલસો ભાવની રીતે અને ઇન્ડસ્ટ્રીની સિસ્ટને માફક આવે તેવો હોય છે, જેથી 90 ટકાથી વધુ આયાતકારો ઇન્ડોનેશિયાથી જ કોલસો મંગાવે છે.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 5:54 am

નેચરલ હીરામાં મંદી પણ લેબગ્રોનમાં ડિમાન્ડ:નેચરલ ડાયમંડમાં 30 દિવસનું વેકેશન, લેબગ્રોનમાં 7 દિવસનું

હીરાના કારખાનાઓમાં 17 ઓક્ટોબરથી દિવાળી વેકેશન જાહેર કરાયું છે. સામાન્ય રીતે 21 દિવસનું વેકેશન હોય છે. પરંતુ નેચરલ ડાયમંડમાં મંદીને લઈને 30 દિવસનું વેકેશન છે જ્યારે લેબગ્રોનમાં ડિમાન્ડ હોવાને કારણે 7થી 15 દિવસનું જ વેકેશન છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે, ઓર્ડર ઓછા હોવાથી ઉત્પાદન ચાલુ રાખવું મુશ્કેલ છે. અમેરિકા અને યુરોપ જેવા મુખ્ય બજારોમાં નેચરલની ખરીદીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એક્સપોર્ટમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. બીજી તરફ, લેબગ્રોન ડાયમંડમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંનેમાં તેજી છે. યુએસ, હોંગકોંગ અને દુબઈ જેવા બજારોમાં ઓર્ડરનો સતત પ્રવાહ ચાલુ છે, જેથી લેબગ્રોન યુનિટોમાં ફક્ત 7થી 15 દિવસનું વેકેશન જાહેર કરાયું છે. ઉદ્યોગકારો કહે છે કે, આ ક્ષેત્રમાં છેલ્લા એક વર્ષમાં ભારતના શહેરમાં પણ લેબગ્રોન અને જ્વેલરીની માંગમાં વધારો થયો છે. લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ માટે નવી આશા બની શકેડાયમંડ એસોસિએશન સાથે સંકળાયેલા વેપારીએ કહ્યું હતું કે, આ વિચિત્ર સ્થિતિ આગામી સમયમાં હીરા ઉદ્યોગની દિશા નક્કી કરશે. નેચરલ ડાયમંડમાં મંદી યથાવત રહે તો વધુ લાંબા ગાળે ઉદ્યોગમાં રોજગારી અને એક્સપોર્ટ બંને પર અસર થઈ શકે છે, જ્યારે લેબગ્રોન ડાયમંડ સુરતના ઉદ્યોગ માટે નવી આશા બની શકે છે.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 5:53 am

આ છે સુરતના દરેક નાગરિકનું ‘ગૌરવ ધન’:પાલિકાને સ્વચ્છતા, શુદ્ધ હવા, કચરામાંથી કંચન, રાત્રિ સફાઈ, આરોગ્ય સેવા જેવા અનેક એવોર્ડ

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને સ્વચ્છતા, કચરામાંથી કંચન, શુદ્ધ હવા, રાત્રિ સફાઈ, આરોગ્ય સેવા, દેશનો સૌથી લાંબો બીઆરટીએસ કોરિડોર, સૌથી વધુ ઇલેક્ટ્રીક વ્હીકલ ચાલે તેવી પોલિસી બનાવી દેશભરમાં નામના તથા એવોર્ડ મેળવ્યા છે. આ બધી જ બાબતોમાં કોર્પોરેશનને જે નામના મળી છે તે શહેરના પ્રત્યેક નાગરિકને આભારી છે. આવા દરેક ગૌરવ લેવા જેવાં કામો માટે જે મોમેન્ટો, સર્ટિફિકેટ, કેન્દ્ર તથા રાજ્ય સરકારે કોર્પોરેશનને એનાયત કર્યા છે તે તમામ શહેરના નાગરિકો માટે સાચું ‘ગૌરવનું ધન’ છે.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 5:52 am

સિટી એન્કર:ધનતેરસમાં સોના-ચાંદી ખરીદવા એડવાન્સ ટોકન ઘણાએ જ્વેલરી પસંદ કરી પણ ડિલિવરી મૂહુર્તમાં લેશે

આ વર્ષે સોનાં અને ચાંદીના ભાવ આસમાને પહોંચતા, તાજેતરના પુષ્યનક્ષત્રમાં ખરીદીમાં 30 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. શહેરના અગ્રણી ઝવેરીઓના જણાવ્યા મુજબ, ગયા વર્ષની સરખામણીએ આ વખતે સોનાં અને ચાંદીની ખરીદીમાં આશરે 30 ટકાનો ઘટાડો થયો હતો. પરંતુ હવે આગામી 18 ઓક્ટોબરે ધનતેરસના પર્વ પર ફરી એક વખત ખરીદીમાં તેજી જોવા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. પુષ્યનક્ષત્ર દરમિયાન શહેરમાં ચાંદીની શોર્ટેજ પણ જોવા મળી હતી. તે સમયે બુલિયન ડીલર્સ ચાંદીના ભાવમાં પ્રિમિયમ વસૂલતા હતા. ખાસ કરીને જો ગ્રાહકો રોકડમાં ખરીદી કરે તો 20થી 30 ટકા સુધીનું પ્રિમિયમ લેવાતું હતું, જ્યારે ચેકથી ખરીદી પર થોડી રાહત આપવામાં આવતી હતી. હાલમાં માર્કેટમાં ચાંદીની ઉપલબ્ધિ સુધરતા પ્રિમિયમમાં ઘટાડો નોંધાયો છે. ધનતેરસના શુભ મુહૂર્ત પર સોનાં અને ચાંદીની ખરીદી ભારતીય સંસ્કૃતિનો અવિભાજ્ય ભાગ છે. આ પાવન અવસર પર લોકો નવા દાગીના, સિક્કા અને ઈન્વેસ્ટમેન્ટ માટે બાર્સ ખરીદવાનું પસંદ કરતા હોય છે. સુરતના મોટા જ્વેલર્સમાં પણ ધનતેરસના વેચાણને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વધતી ભીડને ધ્યાનમાં રાખીને અનેક દુકાનોમાં ટોકન સિસ્ટમ અમલમાં લાવવામાં આવી છે, જેથી ગ્રાહકોને લાઈન ઊભા રહેવું ન પડે. બીજીતરફ કેટલાક ગ્રાહકો એડવાન્સમાં જ પોતાની પસંદગીના દાગીના બુક કરી ચૂક્યા છે અને તે દાગીનાની ડિલિવરી ધનતેરસના દિવસે મુહૂર્તમાં જ લેવા ઈચ્છે છે, જેથી શુભ મુહૂર્તનો લાભ મળી રહે. ભાવ નીચે નહીં જાય તેવી લોકોની ધારણાઈન્ડિયન બુલિયન એસોસિએશનના ગુજરાત પ્રેસિડેન્ટ નૈનેષ પચ્ચીગરે જણાવ્યું હતું કે, ‘પુષ્યનક્ષત્રમાં જે ઘટાડો થયો હતો તે હવે ધનતેરસમાં પુરાઈ જશે. લોકો હવે એ માનસિકતા સાથે ચાલી રહ્યા છે કે સોનાના ભાવ હવે નીચે નહીં જાય, જેથી ભાવ હજુ વધે તે પહેલાં જ ખરીદી પૂર્ણ કરી લેવાની દોડ લાગી છે. આ વર્ષે ધનતેરસના દિવસે સુરતમાં સોનાં અને ચાંદીની ખરીદીમાં ઉછાળો જોવા મળશે.’

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 5:51 am

આત્મનિર્ભર મહિલાઓ:શહેરની મહિલા દ્વારા બનાવેલી સુશોભનની વસ્તુઓની ઓસ્ટ્રેલિયા અને કેનેડા સુધી માગ

વડોદરામાં અમદાવાદી પોળ ખાતે ડેકોરેટિવ આઇટમ્સ મેન્યુફેક્ચરિંગનો વ્યવસાય ચલાવતા 40 વર્ષીય ઇશિતાબેન ચિરાગભાઈ પરમાર છેલ્લા છ વર્ષથી વડોદરા અને આસપાસના ગામડાઓની 100 જેટલી મહિલાઓને રોજગારી પૂરી પાડે છે. તેણી લગ્ન અને તહેવારોને લગતી સુશોભન વસ્તુઓ બનાવવાનો વ્યવસાય કરે છે અને જરૂરિયાતમંદ મહિલાઓને આઉટસોર્સ કામ પૂરું પાડે છે. જે મહિલાઓ તેમના ઘર છોડી શકતા નથી અને તેમના વ્યસ્ત ઘરના કામોમાંથી સમય કાઢીને કમાઈ શકતા નથી, તે મહિલાઓને પગભર કરી છે અને તેઓ ડેકોરેટિવ પીસ બનાવીને મહિને લગભગ રૂપિયા 20 હજાર કમાય છે. ઈશિતાબેન પરમારે છ વર્ષ પહેલા પોતાનો બિઝનેસ પાંચ પ્લેટથી શરૂ કર્યો હતો અને હવે દર મહિને 5,000 થી 10,000 પ્લેટ સુધી પહોંચે છે. તેમના પરિવારના સમર્થનથી તેઓ સારી કમાણી સાથે આ વ્યવસાય ચાલવી રહ્યા છે. ખાસ કરીને તહેવારોની સિઝનમાં તે વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોની જરૂરિયાતમંદ મહિલાઓને પોતાના પગ પર ઊભા રહેવા અને તેમના પરિવારને ટેકો આપવા માટે પણ સશક્ત બનાવે છે. ઈશિતાબેને જણાવ્યું કે, મારી સૌથી વધુ વેચાતી ડેકોરેટિવ પ્રોડક્ટ્સ કરવા ચૌથ, દિવાળી અને લગ્નની સિઝન જેવા તહેવારોમાં થતી હોય છે. આ સમય દરમિયાન મહિનાની કમાણી 3 થી 4 લાખ સુધી પહોંચી જાય છે કોવિડ-19 દરમિયાન જ્યારે લોકો પાસે કોઈ કામ નહોતું ત્યારે મેં આ કામ દ્વારા 20 મહિલાઓને તેમના ઘર ચલાવવામાં મદદ કરી હતી. હાલમાં જિલ્લા કક્ષાએ આયોજિત સહિયર ગ્રામ હાટમાં 61 ગૃહ ઉદ્યોગમાંથી અમારા અંજના ક્રિએશનએ વડોદરા જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જેને લઈને હું મારા પરિવારની ખુબ આભારી છું.” ઈશિતાબેન એક સ્વ-શિક્ષક છે અને તેમણે વડોદરાની એક ખાનગી શાળામાં એડમિનિસ્ટ્રેટર તરીકેની નોકરી છોડીને પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો. તેણીએ શૂન્યથી શરૂઆત કરી અને હવે તેણીના ઉત્પાદનો સમગ્ર ભારતમાં અને ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા દેશો સુધી પહોંચી ગયા છે. તેણીની કુશળતા સુશોભન અને નવીન ડિઝાઇનમાં રહેલી છે જે ગ્રાહકોને આકર્ષિત કરે છે.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 5:48 am

બાળકનું મોત:4 માસના પુત્રને હોસ્પિટલ લઈ જતા દંપતીને બુલેટે અડફેટે લીધું, 7 ફૂટ ઊછળેલા બાળકનું મોત, માતા-પિતા ઘાયલ

બિલ ખાતે વુડાના મકાનમાં રહેતો ચૌહાણ પરિવાર ગુરુવારે અડધી રાત્રે તાવથી પીડિત 4 મહિનાના દીકરાને લઈને સારવાર માટે વડોદરા આવવા નીકળ્યો હતો. દરમિયાન નારાયણ વાડી પાસે પેટ્રોલ પંપમાં પેટ્રોલ ભરાવવા જવા તેઓ વળાંક લઈ રહ્યા હતા ત્યારે પૂરઝડપે આવેલા બુલેટ ચાલકે તેમને અડફેટે લીધા હતા. જેમાં 4 મહિનાનું બાળક 7 ફૂટ ઊંચું ઊછળીને પટકાતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટનામાં અટલાદરા પોલીસે તપાસ હાથ ધરી હતી. બિલમાં વુડાના મકાનમાં રહેતા ભરત ચૌહાણ સિક્યુરિટી ગાર્ડ છે. તેમના 4 મહિનાના દીકરા દિવ્યાંશને ગુરુવારે તાવ આવતો હોવાથી તે ખૂબ જ રડી રહ્યો હતો. જેને કારણે રાતે 12 વાગ્યાના અરસામાં ભરતભાઈ અને તેમની પત્ની સોનલબહેન મોપેડ પર દિવ્યાંશને લઈને સારવાર માટે વડોદરા આવવા નીકળ્યાં હતાં. વડોદરા તરફથી આવતા પૂરઝડપે આવેલા બુલેટ ચાલકે ચૌહાણ પરિવારને અડફેટે લીધો હતો. જેમાં 4 મહિનાનો દિવ્યાંશ અંદાજે 7 ફૂટ ઊંચે ઊછળી રોડ પર પટકાયો હતો. જેને પગલે તેનું ઘટના સ્થળે મોત થયું હતું. ભરતભાઈ અને સોનલબહેનને પણ ગંભીર ઈજા પહોંચી હતી. વધુ સારવાર માટે તેઓને ગોત્રી જીએમઈઆરએસ અને ત્યાંથી સયાજી હોસ્પિટલમાં લઈ જવાયું હતું. બનાવ અંગે અટલાદરા પોલીસે બુલેટ ચાલક કાવ્ય પટેલ સામે તપાસ હાથ ધરી હતી. 12 બાધા કરી ત્યારે 12 વર્ષે પુત્રનો જન્મ થયો હતોમારી બહેન અને માતાએ રાજસ્થાન, રણુ, શિરડી સહિતની 12 જેટલી બાધા રાખી હતી ત્યારે 12 વર્ષે દીકરાનો જન્મ થયો હતા. તાજેતરમાં તેઓ રાજસ્થાનની બાધા પૂર્ણ કરીને આવ્યા હતા. રાત્રે મારા ભાણ્યાને તાવ આવતો હતો એટલે તેઓ સારવાર માટે નીકળ્યા હતા. તેઓ પેટ્રોલ પંપ પેટ્રોલ ભરાવવા વળાંક લઈ રહ્યા હતા ત્યારે તેઓ થોડીવાર ઊભા રહ્યા હતા અને સાવચેતીપૂર્વક ટર્ન લીધો હતો. જોકે બુલેટવાળાએ સામેથી આવીને તેઓને ટક્કર મારી દીધી હતી. અત્યારે મારા બનેવી આઈસીયુમાં છે અને મારી બહેનના ડાબા હાથનું ઓપરેશન કરવાનું છે. પોલીસે બુલેટ ચાલકની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. > જીગ્નેશ પરમાર, ભરતભાઈના સાળા

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 5:46 am

ભાસ્કર વિશેષ:લકવાગ્રસ્ત વૃદ્ધના હૃદયના ફાટી ગયેલાં પડદા, બે નળીની બાયપાસ સર્જરી, હૃદયનો વાલ્વ રિપેર કરવાની 5 કલાકની સર્જરીથી મોતના મુખમાંથી બચાવ્યા

75 વર્ષીય દર્દી 10 વર્ષથી લક્વાગ્રસ્ત હતા, તેવામાં 13 દિવસ પહેલાં હાર્ટ એટેક આવતાં હોસ્પિટલમાં લવાયા હતા, દર્દીને વધુ શ્વાસ ચઢતો હોવાથી તાત્કાલિક ઇકો કરાયો હતો. ઇકોમાં હૃદયની એક નળીમાં 100 ટકા બ્લોકેજ થવાથી હૃદયના નીચલા ડાબા અને જમણાં બંને ચેમ્બર વચ્ચે આવેલો પડદો માખણની જેમ પીગળીને ફાટી ગયો હતો. તેમજ દર્દીના મગજ, લિવર, કિડની જેવાં અંગો સાથે પ્લેટલેટ પણ ઘટી ગયા હતા. આવી સ્થિતિ અત્યંત ઘાતક સ્થિતિને કારણે સર્જરી દરમિયાન દર્દીનું મૃત્યુ થવાનું જોખમ 40થી 50 ટકા જેટલું હોય છે. છતાં દર્દીની પાંચ કલાકની સર્જરી કરીને મોતના મુખમાંથી બહાર લવાયાં છે. 2 હજારે એક દર્દીમાં જોવા મળતાં આ કેસને મેેડિકલ જર્નલમાં પબ્લિશ કરવાની તજવીજ હાથ ધરી છે. દર્દીના મગજ, હૃદય, લિવર અને કિડની જેવાં અંગોમાં એક સાથે તકલીફ હોય ત્યારે આવી અત્યંત નાજુક હાલતમાં મોટાભાગના દર્દી ઘરેથી હોસ્પિટલ સુધી પહોંચતા નથી, અને હોસ્પિટલ પહોંચે તો અમુક જ દર્દી-સગા સર્જરી માટે તૈયાર થાય છે. સર્જરી બાદ દર્દીને ચારથી પાંચ દિવસ વેન્ટિલેટર પર રાખ્યાં બાદ હાલતમાં સુધારો થતાં વેન્ટિલેટર સપોર્ટ હટાવી લેવાયો હતો. સર્જરીનાં 10 દિવસ બાદ દર્દીની હાલત સારી છે, અને અન્ય કોઇ કોમ્પિલીકેશન નહી જણાય તો બે-ચાર દિવસમાં હોસ્પિટલમાંથી રજા અપાશે. ઓર્ગન ફેલ્યોરથી મોતની શક્યતા હોવાથી સર્જરી જોખમી દર્દીને મગજમાં લકવાની અસર, હાર્ટ એટેકને કારણે હૃદય નબળું થઇ ગયું હતુ, લિવરના એસજીપીટીના એન્ઝાઇમની રેન્જ સામાન્ય 40થી 50ને બદલે 1 હજારે પહોંચી જતાં લિવર સીરોસીસ થઇ હતું. સ્થિતિમાં દર્દીનું મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરથી મોતની શક્યતા હોવાથી સર્જરી જોખમી હોય છે.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 5:43 am

કાર્યવાહી:ઉદેપુરથી બસના પાર્સલમાંથી 2.63 લાખના બિયર ઝડપાયો

દિવાળીના તહેવાર દરમ્યાન શહેરમાં દારૂ ઘુસાડવાના પ્રયત્નને પીસીબી એ નિષ્ફળ બનાવ્યો છે.ખોટા બિલના આધારે ટ્રાન્સપોર્ટ પાર્સલ માં 2.63 લાખની કિંમતના 1198 બિયરના ટીન પોલીસે જપ્ત કર્યા છે. ગુના નિવારણ શાખાના પીઆઇ સી.બી.ટંડેલ ને દારૂ બીયરનો જથ્થો ટ્રાન્સપોર્ટમાં આવવાનો હોવાની બાતમી મળી હતી.જેના આધારે ટીમને વોચ ગોઠવવા સૂચના આપી હતી. ટીમે તરસાલી ચોકડી પાસે આવેલા ટ્રાન્સપોર્ટની ઓફિસ શ્રીનાથ કાર્ગો માં તપાસ કરી હતી. જ્યાં ઉદેપુરથી આવેલા શંકાસ્પદ પાર્સલ નજરે પડ્યા હતા. પોલીસે પાર્સલની તપાસ કરતા જુદા જુદા 20 પાર્સલમાં બિયરના ટીન હોવાનું બહાર આવ્યું હતું.જેની ગણતરી કરતા 1198 ટીન કિંમત 2.63 લાખ હતા.પોલીસે પાર્સલ મંગાવનારની બિલ્ટી જોતા એની ઉપર ખોટું નામ સરનામું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ અંગે બિયરનો જથ્થો મોકલનાર અને મંગાવનારની તપાસ હાથ ધરી છે.આ અંગે મકરપુરા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 5:40 am

ચોરી:વેમાલી ખાતે ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી ચાંદીના દાગીના, તિજોરી મળી રુ. 4.24 લાખની ચોરી

વેમાલી ગામમાં આવેલી અનીલ એન્ડ અનીલ ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી ગોધરેજની આખી તીજોરી તથા ચાંદીના દાગીના મળી કુલ રૂ.4.24 લાખની મત્તા ચોરી થઈ ગઈ હતી. ઘટના અંગે મંજુસર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. કારેલીબાગ કિર્તી કુંજ સોસાયટીમાં રહેતા 62 વર્ષીય સુભાષભાઈ રતનલાલ જૈન અનીલ એન્ડ એનીલના નામે ટ્રાન્સપોર્ટનું કામ કરે છે. તેમની ટ્રાન્સપોર્ટની કોર્પોરેટ ઓફિસ વેમાલી ગામની સિમમાં નેશનલ હાઇવે-8 પાસે આવેલી છે. ત્યારે ટ્રાન્સપોર્ટ ઓફિસની બાજુમાં ટ્રાન્સપોર્ટમાં કામ કરતા માણસોને રહેવા માટે રૂમ બનાવ્યા હતા. ત્યારે તા.15 ઓક્ટોબરે નિત્યક્રમ મજબ સુભાષભાઈ સાંજે સાત વાગે ઓફિસને લોક કરી તેની ચાવી ઓફિસની બાજુમાં આવેલા રૂમના ટેબલના ડ્રોવરમાં મુકીને ઘરે ગયા હતા. ત્યારે તેના બીજા દિવસે ઓફિસ પર સફાઈ કામ કરતા સુનિલભાઈએ સુભાષભાઈને ફોન કરી જાણ કરી હતી કે, ઓફિસની ચાવી મળતી નથી.આટલું જ નહીં કબાટમાં રાખેલા ચાંદીના દાગીના ભરેલી આખી ગોધરેજ કંપનીની તિજોરી જવા મળી નહોતી. ઓફિસમાંથી તીજોરી, ચાંદીના દાગીના વગેરે મળી કુલ રૂ.4.24 લાખની મત્તાની ચોરી થઈ ગઈ હતી. આ મામલે મંજુસર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. ઓફિસને લોક કરીને ચાવી ટેબલના ડ્રોઅરમાં મૂકીને ગયા બાદ ઘટના અનિલ એન્ડ અનિલ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 5:39 am

ભાસ્કર એનાલિસિસ:કાંતિ અમૃતિયાને સહાનુભૂતિ ફળી, ઉદય કાનગડને અહમ અનેે રાદડીયાને ટોચના નેતાની દુશ્મનાવટ નડી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નવા મંત્રીમંડળમાં સૌથી વધુ આંચકા અને આશ્ચર્ય સૌરાષ્ટ્રે અનુભવ્યા છે, જેમનું ક્યાંય નામ નહોતું તે લાલ લાઇટવાળી ગાડીમાં સવાર થઇ ગયા છે અને જેઓ સારા વિભાગના મંત્રી હશે તેવું નિશ્ચિત મનાતું હતું તેમની અવહેલના થઇ છે.મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું નામ જાહેર થયું તે સાથે માત્ર મોરબી જ નહીં, સમગ્ર ગુજરાતમાં આશ્ચર્ય ફેલાઇ ગયું હતું. વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે, કાંતિ અમૃતિયા કોઇ બીમારીની સારવાર માટે અન્ય રાજ્યમાં જવાના હતા અને તેઓ નવા મંત્રીમંડળના શપથ સમારોહમાં પણ કદાચ હાજર રહેવાના નહોતા, દરમિયાન તેમને છેલ્લી ઘડીએ ફોન આવી ગયો હતો. કાંતિલાલ અમૃતિયા ગાંધીનગર પહોંચી ગયા હતા. કાંતિ અમૃતિયાને મંત્રીપદ અપાવવામાં એક લાંબા કદના સંસદ સભ્યએ મહત્વની ભૂમિકા ભજવી હતી,મંત્રીમંડળના વિસ્તરણની વાત હજુ છાનાખૂણે ચર્ચાતી હતી તે વખતથી કોઇનું નામ મંત્રીમંડળમાં નિશ્ચિત મનાતું હતું, એટલું જ નહી તેમને સામાન્ય ખાતું નહી પરંતુ સારા વિભાગના કેબિનેટ મિનિસ્ટર અથવા તો નાયબ મુખ્યમંત્રી બનાવાશે તેવી જોરશોરથી ચર્ચા ચાલી રહી હતી. શુક્રવારે સવારે પણ કોઇનું નામ આવે કે નહી પરંતુ જયેશ રાદડિયા તો છે જ તેવું લાગતું હતું પરંતુ રાદડિયાનું નામ ન આવ્યું અને સમગ્ર રાજ્યમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બની ગયો હતો, રાદડિયાના કપાવવા અંગે રાજકીય નિષ્ણાતોએ આપેલી માહિતી મુજબ સહકારી ક્ષેત્રના ટોચના નેતા સાથેની દુશ્મનાવટ સૌથી મોટું કારણ છે. આ ઉપરાંત રાદડિયા અનેક સભામાં એવું બોલ્યા છે કે, પોરબંદર, જુનાગઢ કે રાજકોટ બાજુથી વાવાઝોડા આવે પરંતુ જામકંડોરણા આવીને અટકી જાયછે, તેમજ ખોડલધામના ચેરમેન નરેશ પટેલને ટપોરી પણ તેઓ કહી ચૂક્યા છે. આ તમામ મુદ્દા રાદડિયાને મંત્રીપદથી દૂર રાખવામાં કારણભૂત બન્યા હતા.રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ પ્રથમ વખત જ ધારાસભ્ય બન્યા છે, સંગઠનની ચૂંટણીમાં તેમને ચૂંટણીના મુખ્ય નિરીક્ષક બનાવવામાં આવ્યા હતા, અને તેમના નેજા હેઠળ સંગઠનની ચૂંટણી યોજાઇ હતી, ત્યારથી તેઓ પોતાને રાજ્યના ટોચના નેતા ગણવા લાગ્યા હતા. એક તબક્કે તે દેખાવથી લોકોને આંજવામાં સફળ પણ થયા હતા અને તેમનું નામ પણ મંત્રીપદ માટે ચર્ચાવા લાગ્યું હતું પરંતુ કાનગડ અગાઉ એક કાર્યક્રમમાં એવું બોલી ચૂક્યા હતા કે, અમુક લોકોના રાજકારણ ખતમ કરી દેવાના છે, આ વિધાન તેમના માટે નુકસાનકારક બન્યું હતું. આ ઉપરાંત તેઓ શહેરના અન્ય નેતાઓથી પોતાને વધુ સક્ષમ દેખાડવા લાગ્યા હતા જેથી તેમના વિરોધીઓએ કમ્મર કસી લીધી હતી, વિરોધીઓ જોર કરી રહ્યા હતા તે વખતે જ મહાનગરપાલિકાના ઇજનેરોના પ્રમોશનમાં મોટો તોડ થયાની વાત શરૂ થઇ હતી અને આ તોડમાં કાનગડની પ્રત્યક્ષ કે પરોક્ષ ભૂમિકા હોવાની વાત ટોચની નેતાગીરી સુધી પહોંચી હતી, આ તમામ બાબતોએ કાનગડની ઉડાનને માપમાં કરી નાખી હતી.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 5:39 am

કોન્સ્ટેબલે જીવ બચાવ્યો:ચાલુ ટ્રેને 3 વર્ષનો બાળક બીજા ટ્રેક પર પડ્યો

વડોદરા ડિવિઝનના ગોધરા ખાતે રેલ્વે પ્રોટેક્શન ફોર્સમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રમેશ જાધવે પોતાનો જીવ જોખમમાં મૂકીને અને બેદરકારીને કારણે ટ્રેનમાંથી પડી ગયેલા 3 વર્ષના છોકરાનો જીવ બચાવીને માનવતાનું ઉદાહરણ રજૂ કર્યું હતું. ગુરુવારે બરૌની - બાંદ્રા ટર્મિનસ અવધ એક્સપ્રેસના કોચ નં.S5માં સંતોષ યાદવ તેમની પત્ની અને 3 વર્ષના પુત્ર સાથે મુઝફ્ફરપુરથી વાપી જઈ રહ્યા હતા. મુસાફરી દરમિયાન કાનસુધી-ગોધરા સેક્શન પર, ટ્રેન ગોધરા યાર્ડમાં પ્રવેશે તે પહેલાં બાળક તેની માતા સાથે શૌચાલયમાં જતા સમયે અજાણતા દરવાજા નજીકથી લપસી ગયો અને બીજી રેલ્વે લાઇન પરના ટ્રેક પર પડી ગયો. તે જ સમયે, ગોધરામાં ફરજ બજાવી રહેલા કોન્સ્ટેબલ રમેશ જાધવે ઘટના સ્થળે બાળકને જોયું. તે જ સમયે, મુંબઈ - નવી દિલ્હી તેજસ રાજધાની એક્સપ્રેસ રેલ્વે લાઇન પર આવી રહી હતી. પરિસ્થિતિની ગંભીરતા જોઈને રમેશ જાધવે પોતાનો જીવ જોખમમાં મૂકીને ટ્રેક પર ખૂબ જ ઝડપે દોડ્યા અને આવી રહેલી ટ્રેન પહેલાં છોકરા સુધી પહોંચ્યા અને તેને સુરક્ષિત જગ્યાએ ખેંચી લીધો. સંતોષ યાદવે જણાવ્યું હતું કે, પુત્રને કોઈ ઈજા થઈ નથી અને તેણે તેની મુસાફરી ચાલુ રાખી હતી. મુસાફરો અને પરિવારે કોન્સ્ટેબલ રમેશ જાધવની હિંમતની પ્રશંસા કરી તેમનો આભાર માન્યો હતો.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 5:37 am

કાર્યવાહી:રાજ્યમાં 96થી વધુ લૂંટ-ઘરફોડ કરનાર સુનીલ પાન ગેંગના 9 સામે ગુજસિટોક, ત્રણ ઝડપાયા

શહેર પોલીસે ગુનાઓ ઉપર નિયંત્રણ મેળવવા છઠ્ઠી ગેંગ ઉપર ગુજસિટોક હેઠળ ગુનો નોંધ્યો છે.પોલીસ ઉપર હુમલા સહિતના 96 જેટલા ગંભીર ગુનામાં સંડોવાયેલા સુનિલ પાન ગેંગના 9 સભ્યો સામે ગુનો નોંધાયો છે. એ પૈકી મુખ્ય સૂત્રધાર સહિત 3 ઝડપાયા છે.જ્યારે 4 અન્ય ગુનામાં જેલમાં છે.અને 2 ફરાર છે. શહેર અને રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં સુનિલ પાન ગેંગ લાંબા સમયથી ગંભીર ગુનાઓને અંજામ આપતા હતા.જેમાં દિવસ અને રાત્રિના સમયે ઘરફોડ ચોરી,લૂંટ અને વાહન ચોરી જેવા ગુનાઓ સામેલ છે. આવા ગુના કરતા સમયે નાગરિક કે પોલીસ આવી જાય ત્યારે એમની ઉપર હુમલો કરતા પણ અચકાતા ન હતા.આવા ગુનાઓ પૈકી મોટાભાગના ડિટેકટ થયા હતા, જેમાં આ ગેંગની સંડોવણી બહાર આવી હતી. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું હતું કે આવા ગુનાઓ મોટાભાગે સંગઠિત ટોળકીઓ દ્વારા ભેગા મળી આયોજન બદ્ધ રીતે આચરવામાં આવતા હતા.આ ટોળકીના મુખ્ય સૂત્રધાર સુનિલ પાનસિંગ ઉર્ફે અર્જુનસિંહ બાવરી અને તેની ગેંગના સભ્યો દ્વારા પોલીસ કર્મીઓ ઉપર મારક ધારદાર હથિયારથી હુમલા સહિત 96 ગુના ગંભીર ગુના આચર્યા છે.જેમાં શારીરિક અને મિલકત સંબંધી ગુનાઓનો સમાવેશ થાય છે. પોલીસે અગાઉ આવા ગુનામાં ઝડપાયેલા આરોપીઓની યાદી બનાવી ગુનાહિત ભૂતકાળની તપાસ કરી હતી.જેમાં આ ગેંગ સામે અટકાયતી પગલા છતાં ગુના ચાલુ રાખ્યા હતા.એની ઉપર નિયંત્રણ માટે ક્રાઈમ બ્રાન્ચે ટીમો બનાવી તપાસ કર્યા બાદ ગેંગ સામે ગુજસિટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે ગેંગના મુખ્ય સૂત્રધાર સુનિલ પાનસિંગ ઉર્ફે અર્જુન બાવરી સહિત ત્રણને ઝડપી પાડ્યા છે.4 આરોપી જેલમાં છે.અને 2 આરોપી ફરાર છે.જેમની શોધખોળ શરૂ કરી છે. પોલીસ ઉપર હુમલો અને કારથી કચડી નાખવાના પ્રયાસના 2 ગુના નોંધાયા હતા4 મહિના પહેલા સમાની શક્તિ પાર્ક સોસાયટીમાં રાતે તસ્કરો ઘૂસ્યા હોવાની માહિતીના પગલે પોલીસ પહોંચી હતી.તસ્કરોએ પોલીસ પર હુમલો કરી 2 તસ્કરો એ ઈકો કાર લઈ ભાગ્યા હતા.અને પીસીઆર વાન અને વીજ થાંભલાને ટક્કર મારી હતી. .એના 15 દિવસ બાદ ભાગી ગયેલા તસ્કરોની બાતમી મળતાં આજવારોડ હાઈવે પર પોલીસ પકડવા ગઈ હતી. ત્યારે પોલીસે વાહનને કોર્ડન કરી લેતા તસ્કરોએ પોલીસ પર કાર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.જોકે પોલીસે બંનેને ઝડપી પાડ્યા હતા.જેમાં સુનિલ પાનસિંગ અને ગુરુમુખ સિંગ નો સમાવેશ થતો હતો. નવરાત્રી દરમિયાન દંપતી અને બાળક પાસે તલવારની ધાર પર લૂંટ ચલાવી હતીસુનિલ પાનસિંગ ની ટોળકીના 3 સભ્યો પ્રેમસિંગ, કુલદીપસિંગ,અને અમરસિંગ નવરાત્રીમાં ચોરી માટે ગાજરાવાડી વિસ્તારમાં પહોંચ્યા હતા.જ્યાં ઘર માલિક દંપતી બાળકી સાથે ગરબા જોઈ બાઇક ઉપર પરત ફર્યા હતા.ઘર પાસે ઉભેલા તસ્કરને જોઈ ઘર માલિકે કોણ છો એમ પૂછતા તસ્કરે બાઈકની આગળ બેઠેલી બાળકીના ગળા ઉપર ધારદાર તલવાર મૂકી દીધી હતી.અને બુમો પાડશો તો મારી નાખીશ એવી ધમકી આપી હતી.અને ઘર માલિકને બાઇક પાછી વાળવા જણાવ્યું હતું.અને લાખો રૂપિયાની લૂંટ કરી હતી. તમામ સામે લૂંટ, ઘરફોડ, પોલીસ પર હુમલા સહિતના ગુના

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 5:36 am

શહેરીજનોની સલામતીને ધ્યાને લઇ પોલીસ એલર્ટ:રાજકોટમાં લાઇસન્સ વગર ફટાકડા વેચતા પાંચ વેપારી સામે ગુનો નોંધાયો

રાજકોટમાં ભક્તિનગર પોલીસે નહેરુનગર અને પ્ર.નગર પોલીસે રેલનગર વિસ્તારમાં લાઇસન્સ વગર ફટાકડા વેચનાર સામે જાહેરનામાભંગનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. જ્યારે રાજકોટ ગ્રામ્ય પોલીસે પડધરીમાં લાઇસન્સ વગર ફટાકડા વેચનાર બે શખ્સો સામે ગુનો નોંધ્યો છે. શહેર પોલીસ દ્વારા ફટાકડાનું ગેરકાયદેસર વેચાણ કરનાર તેમજ લાઇસન્સ વગર વેંચાણને નિયંત્રણમાં રાખવા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. ત્યારે શહેરના પ્ર.નગર પોલીસ મથકના પીઆઈ વી.આર.વસાવાની રાહબરી હેઠળ પી.એસ.આઈ જે.બી. રાણીંગા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન રેલનગરમાં સાધુ વાસવાણી કુંજ શ્રદ્ધા એપાર્ટમેન્ટ પાસે બાલાજી ફટાકડા નામનો ફટાકડાનો સ્ટોર ચલાવનાર શખ્સ પાસે ફટાકડા વેચવા માટેનું કોઈ લાઈસન્સ ન હોય પોલીસે સ્ટોર સંચાલક વિશાલ ભૂપતભાઈ જોગડિયા (ઉ.વ 20, રહે. નેહરુનગર શેરી નં.3, ઘાંચી હોલની સામે) વિરૂદ્ધ જાહેરનામાભંગ અંગેનો ગુનો નોંધ્યો છે. જ્યારે આ જ વિસ્તારમાં શ્રીજી કોમ્પલેક્સ કાજલ પાન પાસે પીયુષ ફટાકડા નામનો સ્ટોર ચલાવનાર પીયુષ ભૂપતભાઈ ડેડેયા(ઉ.વ 21 રહે. 53 કવાર્ટર વિવેકાનંદનગર શેરી નંબર 12, રાજકોટ) પાસે પણ ફટાકડાનું લાઇસન્સ ન હોય ગુનો નોંધ્યો છે. ભક્તિનગર પોલીસે નેહરુનગર 80 ફૂટ રોડ પટેલ ચોક પાસે દીપ હાર્ડવેરની દુકાનની બાજુમાં લાઈસન્સ વગર ફટાકડા વેચનાર અશોક રવજીભાઈ દેસાઈ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત પડધરીમાં મેઈન બજાર પાસે આશાપુરા કોમ્પલેક્ષ સામે આશાપુરા ફટાકડા સ્ટોલના સંચાલક ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા(રહે. પારસ સોસાયટી, પડધરી) વિરૂદ્ધ લાઈસન્સ વગર ફટાકડાનો સ્ટોર ચલાવવા બાબતે ગુનો નોંધ્યો છે. તેમજ આ જ વિસ્તારમાં લાઇસન્સ વગર સ્ટોર ચલાવનાર કરણ કરશનભાઈ ગોલતર વિરૂદ્ધ પણ જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 5:33 am

સિટી એન્કર:આધેડને લૂંટેરી દુલ્હનનો ભેટો, માંડવીમાં માતાજીને ચડાવવા ફૂલ-હાર લેવા મોકલીને ટોળકી ¬~1 લાખ રોકડા-દાગીના લઈ રફુચક્કર

ખંભાતના આધેડ લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યા હતા. દુલ્હનના ઘરે લગ્ન કરાવી ટોળકી આધેડને માંગ ભરવા અને મંગળસૂત્ર પહેરાવવા શહેરનાં માંડવીમાં માતાજીના મંદિરે લઈ ગઈ હતી.જ્યાં આધેડને ફૂલહાર લેવા મોકલી ટોળકી 1 લાખ રોકડા, સોના-ચાંદીના દાગીના લઈ રફુચક્કર થઈ હતી. ખંભાત બુલાખીદાસની ચાલીમાં રહેતા 46 વર્ષીય રાજવીર ઉર્ફે રાજુ રાઠોડ હીરા ઘસવાનું કામ કરે છે. તેઓ મનુભાઈ ભૂવાજી નામની વ્યક્તિના પરિચયમાં આવ્યા હતા. મનુભાઈ તેમને આજવા રોડ ચાચા નહેરુનગરમાં રહેતાં અપંગ મીનાબેનના ઘરે લઈ ગયા હતા. જ્યાં મીનાબેનની પુત્રી પૂજા બતાવી હતી. ત્યારબાદ રાજવીર અને પૂજાએ ફોન નંબરની આપ-લે કરી હતી. તે પછી 14 સપ્ટેમ્બરે રાજવીર પરિવાર સાથે મીનાબેનના ઘરે ગયો હતો. જ્યાં તેમણે 1 લાખ રોકડા, દાગીના, કપડાં અપાવી અને ફૂલહાર કરી પૂજાને લઈ જજો તેમ કહ્યું હતું. 22 સપ્ટેમ્બરે રાજવીર સંબંધી સાથે મીનાબેનના ઘરે રૂપિયા, દાગીના સહિતની વસ્તુ લઈને ગયો હતો. જ્યાં પૂજા સાથે ઘરે જ લગ્ન કરાવાયા હતા. મીનાબેને કહ્યું કે, માંડવી માતાજીના મંદિરે જવાનું છે, ત્યાં પૂજાની માંગ ભરી મંગળસૂત્ર પહેરાવવાનું છે. જેથી મીનાબેન, રાજવીર, પૂજા, મીનાબેનની બીજી પુત્રી અપ્પો રિક્ષામાં બેઠાં હતાં. જ્યારે રાજવીરના સંબંધી કારમાં માંડવી જવા નીકળ્યા હતા. આ વખતે પાણીગેટ પોલીસ મથક પાસે મીનાબેને રિક્ષા ઊભી રખાવી રાજવીરના સંબંધીને કહ્યું કે, માંડવી સુધી કાર જશે નહીં, તમે અહીં ઊભા રહો. અમે રિક્ષા લઈને માંડવી જઈ પાછાં આવી જઈએ. તે પછી તેઓએ માંડવીના 2 ચક્કર મારી રાજવીરને કહ્યું કે, માતાજીને ચડાવવા ફૂલહાર લઈ આવો. જેથી રાજવીર નીચે ઊતર્યો હતો. આ વખતે તેઓ રિક્ષા લઈને ભાગી ગયાં હતાં. રાજવીરે બૂમો પાડી છતાં તેઓ ઊભા રહ્યા નહોતાં. આ અંગે બાપોદ પોલીસે મીનાબેન અને પૂજા સામે ગુનો નોંધ્યો હતો. ભૂવાજીએ 2 લાખ અને દાગીના આપવા કહ્યું હતુંમનુભાઈએ કહ્યું હતું કે, લગ્ન માટે લેવડ-દેવડ કરવી પડશે. જેમાં 2 લાખ રોકડા, સોનાની જડ, ચાંદીનું મંગળસૂત્ર, ચાંદીના છડા તથા દુલ્હનનાં કપડાં આપવાં પડશે. જેથી રાજવીરે કહ્યું કે, લેવડ-દેવડ વધારે છે, જેથી લગ્ન કરવા નથી. રાજવીરે પૂજાને પણ 2 લાખ નથી તેમ કહ્યું હતું. જોકે પૂજાએ 1 લાખમાં નક્કી કરી દઈએ તેમ કહ્યું હતું.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 5:30 am

CSEETનું રજિસ્ટ્રેશન શરૂ થયું:CSની એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ 10 જાન્યુઆરીએ લેવાશે

ICSIની 10 જાન્યુઆરી, 2026માં યોજાનારી કંપની સેક્રેટરી એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ (CSEET)નું રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. જે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 15 ડિસેમ્બર, 2025 છે. ઉમેદવારોને રજિસ્ટ્રેશન દરમિયાન જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા ફરજિયાત છે, જેમાં તાજેતરનો પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ (20KB–50KB), સ્કેન કરેલો હસ્તાક્ષર (10KB–20KB), ધો.10ની પાસ માર્કશીટ, ધો.12ની હોલ ટિકિટ અથવા માર્કશીટ અને સરકારી ઓળખપત્ર શામેલ છે. ફીમાં છૂટ માટે માન્ય વર્ગ પ્રમાણપત્ર પણ જરૂરી છે. CSEET પરીક્ષા 10 જાન્યુઆરી, 2026ના રોજ રિમોટ પ્રોક્ટર્ડ મોડમાં યોજાશે. જેનો સમયગાળો 120 મિનિટનો રહેશે. ફી રૂ. 2,000 છે અને કુલ 50% માર્ક્સ અને દરેક પેપરમાં ઓછામાં ઓછા 40% માર્ક્સ હોવા ફરજિયાત છે. ઉમેદવારોને રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ વર્ચ્યુઅલ ક્લાસ અને સ્ટડી મટિરિયલ્સ મફત આપવામાં આવશે. બિઝનેસ કમ્યુનિકેશન, લીગલ એપ્ટિટ્યુડ એન્ડ લોજિકલ રીઝનિંગ, ઇકોનોમિક એન્ડ બિઝનેસ એન્વાયર્નમેન્ટ અને કરન્ટ અફેર્સ એન્ડ ક્વાન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એમ ચાર વિષયની પરીક્ષા હશે. દરેક વિષય 50 માર્ક્સનો છે અને નેગેટિવ માર્કિંગ નથી. આ એન્ટ્રન્સ ટેસ્ટ સંબંધિત માહિતી માટે ઉમેદવારો આઇસીએસઆઇની વેબસાઇટ જોઇ શકે છે.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 5:29 am

સન્માન:તહેવારોમાં વ્યવસ્થા જાળવતા ‘સોશિયલ સોલ્જર્સ’નું સન્માન

રાજકોટ | દિવાળી પર્વે જ્યારે મોટાભાગના લોકો પોતાના પરિવાર સાથે તહેવારની ઉજવણીમાં મગ્ન રહે છે, ત્યારે સમાજની સુરક્ષા, આરોગ્ય અને વ્યવસ્થા જાળવવા માટે સતત ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓ પોતાના પરિવારથી દૂર રહી સેવા આપતા રહે છે. આવા નિઃશબ્દ યોદ્ધાઓ પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે મારવાડી યુનિવર્સિટીના ટ્રસ્ટી ધ્રુવ મારવાડી, વિદેશી વિદ્યાર્થીઓ અને સ્ટાફે શહેરના ફાયર સ્ટેશન, ટ્રાફિક ચોકી અને હોસ્પિટલોની મુલાકાત લઈ ‘સોશિયલ સોલ્જર્સ’ને દિવાળી મીઠાઈ, શુભેચ્છા કાર્ડ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને અભિનંદન પાઠવ્યા.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 5:28 am

દિવાળી વેકેશનનો પ્રારંભ:સૌરાષ્ટ્રની 5500થી વધુ શાળા, 285 કોલેજ અને યુનિવર્સિટીઓમાં વેકેશન

રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકની રાજકોટ સહિત સૌરાષ્ટ્રની આશરે 5500થી વધુ સ્કૂલોમાં દિવાળી વેકેશનનો પ્રારંભ થઇ ગયો છે. જ્યારે રાજ્યની કોલેજોમાં 17મીથી આગામી 21 દિવસ સુધી દિવાળીના વેકેશન નિમિત્તે રજાઓ રહેશે. આમ, હવે સ્કૂલ-કોલેજો બંધ થતાં શહેરમાં વેકેશનનો માહોલ શરૂ થયો છે. રાજ્યભરની સ્કૂલ-કોલેજો બંધ થઈ જતાં, વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોમાં પ્રવાસ અને ઉજવણીનો માહોલ શરૂ થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પહેલા શૈક્ષણિક સત્રમાં કુલ 105 દિવસનો કાર્યભાર નક્કી કરવામાં આવ્યો હતો અને નિયમ પ્રમાણે 15મી ઓક્ટોબરના રોજ શૈક્ષણિક સત્ર પૂર્ણ જાહેર કરી દેવામાં આવ્યું છે. તા.16મીથી આગામી 5મી નવેમ્બર સુધી કુલ 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે. 6 નવેમ્બરથી નવું સત્ર, 3 મે 2026 સુધી ચાલશેઆગામી તા.6 નવેમ્બરથી નવી એટલે કે બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરવામાં આવશે. દિવાળી પછીનું નવું સત્ર કુલ 144 દિવસનું રહેશે જે આગામી 3જી મે 2026 સુધી ચાલશે. શાળાઓમાં ઉનાળુ વેકેશન 4 મે 2026થી પડશેબીજા સત્રના સમાપન બાદ ઉનાળુ વેકેશન આગામી તા.4 મેથી શરૂ થશે જે 35 દિવસનું રહેશે. ત્યારબાદ 7મી જૂન 2026થી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 5:28 am

ભાસ્કર વિશ્લેષણ:4 વર્ષ-1 મહિના બાદ મનીષાબેન ફરીથી મંત્રી વિવાદ ટાળવા નિર્વિવાદિત ચહેરાની પસંદગી

રાજ્ય સરકારના મંત્રી મંડળના વિસ્તરણમાં વડોદરા માટે ધારાસભ્ય મનીષાબેન વકીલના નામની જાહેરાત આશ્ચર્યજનક છે. તેમને ફરીથી મહિલા અને બાળ વિકાસ (સ્વતંત્ર હવાલો), સામાજિક ન્યાય અને સશક્તિકરણ (રાજ્યમંત્રી) તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપે શહેરમાં કદાચ વિવાદને ટાળવા માટે આ નિર્ણય લીધો છે.રાજ્ય સરકારમાં મહિલા અનામતની બાબત અને અનુસૂચિત જાતિના પ્રતિનિધિ તરીકે નામ જાહેર કરીને પાર્ટીએ આંતરિક વિવાદને પણ ટાળવાનો પ્રયાસ કર્યો છે. જો મોટા નેતાનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવતો તો કદાચ વડોદરામાં અલગ-અલગ જૂથો બનતાં અને વિવાદ વધુ વકરવાની પરિસ્થિતિ ઊભી થાત.શહેરમાં પણ મનિષાબેનને જો મંત્રી પદ મળે તો તે સંદર્ભેનો કોઈ વિવાદ થાય તેવી પણ શક્યતાઓ નહીંવત છે. તેઓ શરૂઆતથી જ વિવાદથી દૂર રહ્યાં છે. તેઓ અભ્યાસુ અને અગાઉ મંત્રી તરીકે કામગીરી કરી ચૂક્યાં છે, જેથી સ્વતંત્ર કાર્યભાર સોંપવામાં આવ્યો છે. જોકે વધુ એક વખત વડોદરા જિલ્લાની નેતાગીરી નબળી સાબિત થઈ છે. આણંદ, ભાવનગર, સુરત અને અમદાવાદની જેમ જો વડોદરાને પણ બે-બે મંત્રીઓ આપ્યા હોત તો શહેર બાદ જિલ્લાના પ્રશ્નો સારી રીતે ઉકેલી શક્યા હોત. વધુ એક વખત મૂળ ભાજપી નથી તેવા જિલ્લાના ધારાસભ્યોની અવગણનામનીષા રાજીવભાઈ વકીલ ઉંમર : 50અભ્યાસ : M.A.Bed (Ph.D)રાજકીય કારકિર્દી આ ઘારાસભ્યો કેમ કપાયા ?કેયુર રોકડિયા : તેમનું નામ જાહેર કરવાથી અન્ય ધારાસભ્યો વચ્ચે વિવાદ થવાની શક્યતાને ધ્યાનમાં લઈ નામ બાજુ પર મુકાયું હોવાની ચર્ચા છે.યોગેશ પટેલ : 75 વર્ષની વય મર્યાદા અને અગાઉ પણ મંત્રી રહ્યા છે, જેથી ફરીથી પદ મળે તેવી કોઈ શક્યતા જ ન હતી.ચૈતન્યસિંહ ઝાલા : પહેલી વખતના ધારાસભ્ય અને મૂળ ભાજપના હોવાથી જિલ્લામાંથી પ્રતિનિધિત્વ મળે તેવી શક્યતા હતી, પણ જિલ્લાની નબળી નેતાગીરી નામ પડતું મુકાવવા પાછળ કારણભૂત હોવાનું જાણવા મળ્યું છે.ચૈતન્ય દેસાઈ : જાતિગત સમીકરણમાં અનાવિલ બ્રાહ્મણ વલસાડના કનુભાઈ દેસાઈને મંત્રી મંડળ લેવાને કારણે પણ નામ પડતું મૂકાયું હોવાનું ગણિત ચર્ચાઈ રહ્યું છે.અક્ષય પટેલ : મૂળ કોંગ્રેસના અને ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડિયા સહિત 2 ધારાસભ્યોને મંત્રી બનાવ્યા હોવાથી પણ સમાવેશ નથી કર્યો, તેવું અનુમાન છે.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 5:28 am

રાજકોટના ખોખાણી પરિવારની પહેલ:87 વર્ષના વૃદ્ધાનું નિધન થયું, ચક્ષુ અને ત્વચાનું દાન કર્યું, બે વ્યક્તિને આંખ અને દાઝેલા 20 લોકોને ચામડી મળશે

રાજકોટમાં રહેતા ખોખાણી પરિવારની પહેલ અને નિર્ણયે સમાજને એક નવી રાહ ચિંધી છે. ખોખાણી પરિવારના 87 વર્ષના ભાનુબેનને હ્દયરોગનો હુમલો આવતા તેનું નિધન થયું હતું. એક બાજુ પરિવારના મહિલા મોભીનું નિધન થતા આ ઘડી તેમના માટે વ્રજ્રઘાત સમાન હતી.ત્યારે આવી દુખદ ઘડીમાં દીકરા અને પરિવારજનોએ મૃતકના ચક્ષુ અને ત્વચાદાનનો નિર્ણય લીધો હતો. તેના આ નિર્ણયથી બે લોકોને ચક્ષુદાન થકી તેના જીવનમાં પ્રકાશ પથરાશે તો ત્વચાદાન કરતા 20 દાઝેલા લોકોને નવી ચામડી મળશે. આ અંગે વધુ માહિતી આપતા શ્રીમદ્દ રાજચંદ્ર ફાઉન્ડેશનના પ્રમુખ વિનયભાઈ જસાણીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ત્વચા અને ચક્ષુદાન મૃત્યુના 6 કલાકમાં લેવાતું હોય છે. આખા ગુજરાતમાં એકમાત્ર રાજકોટમાં જ સ્કિન બેંક છે. સામાન્ય રીતે ચહેરા અને કપાળ તેમજ જ્યાં સ્કિન ડિસિઝ હોય તે જગ્યાને બાદ કરતા આખા શરીરની સ્કિન લઈ શકાતી હોય છે. આ બધી પ્રક્રિયા નિષ્ણાત તબીબ દ્વારા કરવામાં આવતી હોય છે. ત્વચા લીધા બાદ છ વર્ષ સુધી તેને સાચવી શકાય છે. જે ત્વચા લેવામાં આવી છે તેેને સાચવીને જે રીતની જરૂરિયાત હોય તે મુજબ વાપરી શકાતી હોય છે. આ ત્વચા દાઝેલા લોકો માટે આશીર્વાદરૂપ બનતી હોય છે. ખોખાણી પરિવારનો આ નિર્ણય સમાજને પ્રેરણારૂપ સમાન છે. સમાજમાં ત્વચાદાનને લઇને લોકોમાં જાગૃતિ બહુ ઓછી છે. 100 વ્યકિત હોય તેમાંથી 98 લોકો ચક્ષુદાન માટે તૈયાર થતા હોય છે. જ્યારે સ્કિનદાન માટે માત્ર 2 જ વ્યકિત તૈયાર થતા હોય છે. જો ત્વચાદાન માટે લોકોમાં જાગૃતિ આવે તો આ નિર્ણય દાઝેલા વ્યકિત માટે મોટી સેવા સમાન ગણી શકાય. લોકો સારા-માઠા પ્રસંગોએ ચક્ષુદાન, દેહદાન માટેના સંકલ્પ લ્યે છેચક્ષુદાનને લઇને પહેલા કરતા લોકોમાં જાગૃતિ આવી છે. સારા-માઠા પ્રસંગોએ લોકો ચક્ષુદાન, દેહદાન માટેના સંકલ્પપત્રો ભરે છે. આ સંકલ્પપત્રો ભરવામાં યુવાપેઢીથી લઇને સિનિયર સિટીઝન પણ જોડાય છે. જો કે ત્વચાદાનને લઈને લોકોમાં હજુ જાગૃતતાનો અભાવ જોવા મળે છે. લોકો તેના પ્રત્યે પણ જાગૃત થાય તે જરૂરી છે. લોકોમાં જાગૃતતા આવે તે માટે શ્રીમદ્દ રાજચંદ્ર ફાઉન્ડેશન દ્વારા અવારનવાર સેમિનાર પણ રાખવામાં આવે છે. 95 વર્ષના વૃદ્ધનું તાજેતરમાં અવસાન થયું હતું તેને પણ ત્વચાદાન કર્યું હતું. આમ ત્વચાદાન કોઈ પણ ઉંમરના મૃત વ્યકિતનું લઈ શકાય છે તેમ વિનયભાઈ જસાણીએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 5:26 am

મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ:‘મિશન એક્સલન્સ’ની સહાય માટે સ્કૂલોએ બોર્ડ અને ગુણોત્સવનાં પરિણામ આપવા પડશે

રાજ્યના શિક્ષણ વિભાગે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોની માળખાકીય સુવિધાઓ સુધારવા માટે ‘મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ’ અંતર્ગત આર્થિક સહાય યોજના જાહેર કરી છે. અગાઉ સ્કૂલોને 30 સપ્ટેમ્બરની અંદર અરજીઓ આપવા ફરજિયાત હતી, પરંતુ 34 મુદ્દાઓની વિગત ભેગી કરવી સંચાલકો માટે મોટી ચેલેન્જ બની હોવાને કારણે શિક્ષણ વિભાગે સમય મર્યાદા 31 ઓક્ટોબર સુધી લંબાવી છે. આર્થિક સહાય માટે દરખાસ્તમાં આપવી જરૂરી માહિતીમાં છેલ્લા ત્રણ વર્ષના ધો.10 અને ધો.12ના મુખ્ય જાહેર પરીક્ષાના પરિણામ, ગુણોત્સવનું પરિણામ, વિદ્યાર્થીઓની હાજરી, સ્કૂલ મકાન મંડળ કે ટ્રસ્ટની માલિકી, હયાત બાંધકામ, ખૂટતી સુવિધા માટેની જગ્યા, બાંધકામ અને મેજર રિપેરિંગ અને અંદાજિત ખર્ચનો સમાવેશ થાય છે. માટે, ધોરણ 9-10 ધરાવતી સ્કૂલોમાં ઓછામાં ઓછા 50 અને ધોરણ 9-12 ધરાવતી સ્કૂલોમાં ઓછામાં ઓછા 100 વિદ્યાર્થીઓ હોવા જરૂરી છે. સહાયમાં રાજ્ય સરકાર 80% રકમ અને સંચાલક મંડળ 20% ખર્ચ આપશે. બોર્ડ પરિણામ માટે બિનઆદિજાતિ વિસ્તારોમાં ઓછામાં ઓછું 75% અને આદિજાતિ વિસ્તારોમાં 65% પરિણામ ફરજિયાત છે. ગુણોત્સવ માટે શહેરી વિસ્તારમાં 1 વર્ષ A+ અને 2 વર્ષ A, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ઓછામાં ઓછું 1 વર્ષ A ગ્રેડ આવવું જરૂરી છે. હાજરી ઓછામાં ઓછા 80% હોવી જોઈએ. વિજ્ઞાન પ્રવાહ ધરાવતી, કન્યા સ્કૂલો અને વધારે વિદ્યાર્થીઓ ધરાવતી સ્કૂલોએ પ્રાથમિકતા મળશે. સહાય મેળવ્યા બાદ સ્કૂલના દરબારમાં ‘મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ’ બોર્ડ લગાવવું ફરજિયાત રહેશે.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 5:25 am

કેલેન્ડરનું વિમોચનનું આયોજન:ભૂદેવ સેવા સમિતિ આયોજિત કેલેન્ડરનું વિમોચન

શહેરના હળવદ બ્રાહ્મણ બોર્ડિંગ, એસ્ટ્રોન ચોક ખાતે ભૂદેવ સેવા સમિતિ દ્વારા કેલેન્ડર વિમોચન વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રકાશિત કરાયેલું નવું કેલેન્ડર વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. તેમાં હિંદુ તિથિઓ, તહેવારો અને મહત્ત્વપૂર્ણ દિવસોની સંપૂર્ણ માહિતી સાથે દેવી-દેવતાઓનાં સુંદર ચિત્રો આપવામાં આવ્યા છે. માન્યતા મુજબ દેવતાઓની છબી ઘરનું વાતાવરણ પવિત્ર બનાવે છે અને સકારાત્મક ઊર્જા ફેલાવે છે. આ વિમોચન વિધિ દ્વારા સમિતિએ નૂતન વર્ષના પ્રારંભે સમાજને એકતા, સુખ અને સમૃદ્ધિનો સંદેશ આપ્યો હતો. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્ય અને ભૂદેવ સેવા સમિતિના સંસ્થાપક તેજસ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ કેલેન્ડર દરેક ઘર સુધી પહોંચે એ માટે વોર્ડવાઇઝ સમિતિના સભ્યોની અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે અને માઈક્રો પ્લાનિંગ આયોજન કરવામાં આવ્યું છે, જેથી સમાજના દરેક વર્ગને તેનો લાભ મળી રહે. સમાજમાં એકતા, સંવાદ અને સેવા ભાવના મજબૂત બને તે હેતુસર યોજાયેલ આ કાર્યક્રમમાં બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ, પ્રમુખ-ઉપપ્રમુખ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 5:24 am

નિદાન કેમ્પમાં 230 દર્દીઓએ લાભ લીધો:પુજિત રૂપાણી ટ્રસ્ટ, રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે નિદાન કેમ્પ યોજાયો

પુજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ અને રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉનના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં 230 દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં નિષ્ણાત તબીબોએ દર્દીઓનું નિદાન કરી માર્ગદર્શન આપ્યું હતું. ડો. પ્રકાશ મોઢા, ડો. જયેશ ડોબરિયા, ડો.જતિન મોદી, ડો.પ્રતીક્ષાબેન દેસાઇએ હાજરી આપી હતી. રાજકીય આગેવાનો અને અગ્રણીઓએ હાજરી આપી હતી. કેમ્પને સફળ બનાવવા ટ્રસ્ટી અંજલિબેન રૂપાણી સહિતના આગેવાનો અને કાર્યકરોએ સહયોગ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 5:23 am

ધર્મચર્ચાનું આયોજન:14મા ઝાલાવાડ કથાકાર મિલન પ્રસંગે રતિભાઇ પુરોહિતની ધર્મચર્ચા યોજાઇ

રાજકોટ | મૂળીના દુધઇ વડવાળાધામ મંદિર ખાતે મહંત રામબાલક દાસજીબાપુની અધ્યક્ષતામાં 14મું ઝાલાવાડ કથાકાર મિલન તાજેતરમાં યોજાયું હતું. આ કથાકાર મિલન પ્રસંગે રાજ્યભરના વિવિધ ક્ષેત્રના કથાઓના પ્રસિદ્ધ કથાકારોએ હાજર રહ્યા હતા. આ મિલન પ્રસંગે ભાગવતનિધિ સંસ્થાન રાજકોટના અધ્યક્ષ અને ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કથાકાર ભાગવતાચાર્ય રતિભાઇ પુરોહિત ગુરુજીએ હાજર રહી પોતાની ધર્મચર્ચા કરતાં સનાતન ધર્મના જતન-રક્ષણ-સંરક્ષણ અને સંવર્ધન માટે પોતાના તાત્વિક વિચારો રજૂ કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 5:23 am

રંગોળી સ્પર્ધાનું આયોજન:578 સ્પર્ધકોએ 6 કલાકમાં 526 રંગોળી બનાવી, કલા-કારીગરી નિહાળવા હજારો લોકો ઊમટ્યા

મહાનગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વચ્છ-હરિયાળુ રંગીલું રાજકોટ’ અંતર્ગત શહેરના રેસકોર્ષ રિંગ રોડ પર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંપૂર્ણ વ્યવસ્થા ચિત્રનગરી દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ આયોજનમાં કુલ 526 રંગોળીનું આયોજન થયું હતું. જેમાં 5X5ની વ્યક્તિગત 500 રંગોળી તથા 5X15ની 3 લોકોના ગ્રૂપમાં એમ કુલ 26 રંગોળીનું રજિસ્ટ્રેશન થયું હતું. આ સ્પર્ધાનું 8મુ આયોજન છે. રંગોળીના વિજેતા નક્કી કરવા માટે કુલ 12 નિર્ણાયકો છે. સ્પર્ધામાં દેવી-દેવતાઓ, ઓપરેશન સિંદૂર, વડાપ્રધાન, વ્યસન મુક્તિ, ફ્રી હેન્ડ સહિતની વિવિધ રંગોળી કરાઇ હતી. આ સ્પર્ધા રાત્રીના 11 વાગ્યા સુધી ખુલી મુકાઇ હતી. જેમાં બહોળી સંખ્યામાં શહેરીજનો રંગોળી નિહાળવા ઊમટી પડ્યા હતા. મનપા દ્વારા રેસકોર્સ રિંગ રોડની ફરતે દિવાળી કાર્નિવલ-2025નું આયોજન કર્યું છે. ત્યારે તેના ભાગરૂપે રંગોળી સ્પર્ધામાં પણ લોકોનો સારો ઉત્સાહ જોવા મળ્યો હતો. 3 લકી વિજેતાને ફટાકડાની કિટ...રંગોળી સ્પર્ધામાં 3 ગ્રૂપ રંગોળીના વિજેતાને 5000, 3 વ્યક્તિગત વિજેતાઓને 5000 અને 51 વ્યક્તિગત વિજેતાઓને 1000નું પુરસ્કાર આપવામાં આવશે. આ ઉપરાંત 3 લકી વિજેતાઓને 5000ની ફટાકડાની કીટ આપવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 5:22 am

દેવ ધન:બેસતા વર્ષથી પૂનમ સુધી દર્શનાર્થે આવતા હજારો ભક્તો શુકનનો સવા રૂપિયો લેવા લાઈનમાં ઊભા રહે છે

વાડી દાલિયા પોળના નાકે આવેલા 265 વર્ષ પૌરાણિક શનિદેવ મંદિરમાં વર્ષોની પરંપરા મુજબ કારતક સુદ એકમ એટલે કે બેસતા વર્ષથી પૂનમ સુધી શનિદેવની પ્રસાદી અને આશીર્વાદ નિમિત્તે દર્શને આવનારા 5 હજારથી વધુ ભક્તોને શુકનનો સવા રૂપિયો અપાશે. શનિદેવના ભક્તો કે જેઓ અમેરિકા, યુરોપ કે પછી દુનિયાના કોઈ પણ છેડામાં વસતા હોય તેઓ નવા વર્ષે સવા રૂપિયો લેવા લાઈનમાં ઊભા રહે છે.મંદિરના પ્રધાન મહારાજ ડો.જયશંકર દવેએ કહ્યું કે, નવા વર્ષે શનિદેવને વિશ્વના કલ્યાણ અને ભક્તોના મંગલ માટે ખાસ પ્રાર્થના કરાશે. જ્યારે શનિ મહારાજને પ્રાર્થના કરી આરતી બાદ પ્રસાદીનું વિતરણ કરાશે. વર્ષોની પરંપરા મુજબ નવા વર્ષથી પૂનમ સુધી શનિદેવની પ્રસાદી સ્વરૂપે અપાતો શુકનનો સવા રૂપિયો લેવા દેશ- વિદેશથી ભક્તો આવે છે. ઘણા વેપારી, નેતા અને અધિકારીઓ પણ સવા રૂપિયા રૂપી આશીર્વાદ લેવા આવે છે. દિવાળી, બેસતું વર્ષ તેમજ દેવદિવાળી સુધી ભગવાનને વિશેષ શણગાર અને ભોગ ધરાવાશે. 10 વર્ષ પહેલાં એસબીઆઈમાંથી રૂા.20 હજારની કિંમતના 25 પૈસાના સિક્કા લીધા હતામંદિરના મહારાજને જણાવ્યું હતું કે, શુકનના સવા રૂપિયામાં રૂા.1 નો સિક્કો અને 25 પૈસાનો સિક્કો ભક્તોને અપાય છે. હવે 25 પૈસાનો સિક્કો મળતો નથી. જોકે 10 વર્ષ પહેલાં માંડવી એસબીઆઈની મુખ્ય બ્રાંચમાંથી રૂા.20 હજારની કિંમતના 25 પૈસા લીધા હતા, જે અત્યાર સુધી ચાલે છે. જોકે હવે તકલીફ પડી રહી છે. ચાલુ વર્ષે 5 હજાર ભક્તોને સવા રૂપિયો અપાય તેટલા સિક્કાની વ્યવસ્થા કરાઈ છે.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 5:22 am

વન ધન:રુ. 2031 કરોડનાં લાકડાં, હવામાં જતો રુ. 9232 કરોડનો કાર્બન અટકાવ્યો

જંગલોનાં વૃક્ષો હરિયાળી સંપદા છે, પણ કાર્બન ફૂટપ્રિન્ટને વધુ મહત્ત્વ અપાતાં હવે આ લીલીછમ્મ સંપદાને નવા પરિપ્રેક્ષ્યમાં મૂલવાઈ રહી છે. તાજેતરમાં ભારત સરકારની રાષ્ટ્રીય આંકડા કચેરી દ્વારા પર્યાવરણીય આંકડાકીય અભ્યાસ-2025નો અહેવાલ બહાર પડાયો છે. જેમાં રાજ્યનાં વનોએ 9232 કરોડનો કાર્બન વાતાવરણમાં જતો અટકાવ્યો છે. જે રાજ્યના કુલ સકલ ઘરેલુ ઉત્પાદનના 0.48 ટકા છે. જ્યારે રાજ્યનાં જંગલોમાં વણવપરાયેલા લાકડાની કિંમત વધીને 2031 કરોડ થઈ છે.વૈજ્ઞાનિક ગણતરી મુજબ 50 વર્ષનું વૃક્ષ 15.70 લાખ જેટલો ફાયદો આપે છે. અહેવાલમાં 2011-12 સાથે 2021-22ના સરવેની માહિતી છે. જેમાં જંગલોમાં ઇમારતી લાકડાની સંપદાની કિંમત 2011-12માં 746 કરોડ હતી, તે 2021-22માં 1285 કરોડ થઈ છે. વડોદરા વર્તુળના વન સંરક્ષક અંશુમાન શર્માએ કહ્યું કે, આ રિપોર્ટ આંકડાકીય માહિતી નથી, પણ કેવી રીતે વન ઉપયોગી બને છે તેનો પુરાવો છે. બીજી તરફ વૃક્ષો કાપવાની પ્રવૃત્તિ ઘટી છે. લાકડું બાળવાથી વાતાવરણમાં કાર્બન ઓછો જઇ રહ્યો છે. એટલે કે રાજ્યમાં લાકડા જેવી વન્ય સંપદાનો આર્થિક હેતુ માટેનો ઉપયોગ ઘટ્યો છે. કાર્બન રિટેન્શનની આ રીતે ગણતરી કરાય છેવનવિભાગના અધિકારી કહે છે કે, વૃક્ષનો કોઇ રીતે ઉપયોગ ન કરાય તો તે વૃક્ષ એટલો કાર્બન મુક્ત કરતું નથી. એટલું નહીં તે દિવસે કાર્બન ડાયોક્સાઇડ શોષી ઓક્સિજન ફેલાવે છે. માટી પણ કાર્બન ડાયોક્સાઇડ શોષે છે. સરભર કરવા માટે જે ખર્ચ કરવો પડે તે કરવો પડે નહીં. આ તે વૃક્ષની કાર્બન રિટેન્શન વેલ્યૂ છે.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 5:19 am