SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
... ...View News by News Source

વેરાવળમાં શિક્ષક દિન નિમિત્તે ખાસ વર્કશોપ:રઘુ રમકડું દ્વારા શિક્ષકોને બાળકોમાં શિક્ષણ પ્રત્યે રુચિ જગાવવા માર્ગદર્શન

વેરાવળના બિરલા ઓડિટોરિયમમાં શિક્ષક દિનની પૂર્વ સંધ્યાએ એક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ જન સેવા ટ્રસ્ટ અને શિક્ષણ વિભાગના સંયુક્ત પ્રયાસથી આ કાર્યક્રમ યોજાયો. અમરેલી જિલ્લાની મોટામાંડવણા પ્રાથમિક શાળાના શિક્ષક અને મોટીવેશનલ સ્પીકર રાઘવભાઈ કટાકીયા (રઘુ રમકડું) એ વેરાવળ-સોમનાથના શિક્ષકોને માર્ગદર્શન આપ્યું. તેમણે બાળકોને શિક્ષણ, શિક્ષક અને શાળા પ્રત્યે આકર્ષિત કરવાની પદ્ધતિઓ સમજાવી. રાઘવભાઈએ જણાવ્યું કે શિક્ષકે બાળક સાથે બાળક બનવું જોઈએ. શાળામાં પ્રેમભર્યું વાતાવરણ જાળવવાથી બાળકો સ્વયં શાળા તરફ આકર્ષાશે. તેમણે બાળકોની સુષુપ્ત શક્તિઓને ખીલવવા માટે યોગ્ય વાર્તાઓ અને બાળગીતોના ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું. વર્કશોપમાં બાળકોને પગભર બનાવવા અને તેમને સમાજ, શાળા અને પરિવાર માટે ઉપયોગી નાગરિક બનાવવા માટેના વિચારોનું સિંચન કેવી રીતે કરવું તે અંગે પણ માર્ગદર્શન અપાયું. શિક્ષકોને બાળકોમાં સકારાત્મક મૂલ્યોનું સિંચન કરવાની વ્યવહારિક પદ્ધતિઓ સમજાવવામાં આવી.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 11:16 pm

વેરાવળમાં ઈદે મિલાદ પૂર્વે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ:શહેરના મુખ્ય માર્ગો અને બજારોમાં પોલીસની ચાંપતી નજર, શાંતિપૂર્ણ માહોલ જાળવવા પ્રયાસ

વેરાવળમાં આવતીકાલે ઈદે મિલાદના તહેવાર અને ચાલી રહેલા ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખીને પોલીસે વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે ફૂટ પેટ્રોલિંગનો આરંભ કર્યો છે. વિભાગીય પોલીસ અધિકારી વી.આર.ખેંગાર અને સીટી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર. ગોસ્વામીના નેતૃત્વમાં સીટી પોલીસના જવાનોએ ટાવર ચોકથી શરૂ કરીને શહેરના મુખ્ય રાજમાર્ગો અને બજાર વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું છે. પોલીસ તંત્રે અસામાજિક તત્વોને સખત સંદેશ આપ્યો છે. તહેવારો દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે અને ભાઈચારાના વાતાવરણમાં ઉજવણી થાય તે માટે પોલીસ તંત્ર સજ્જ છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 11:14 pm

ત્રિવેણી સંગમ પર સંધ્યા આરતીનો દિવ્ય માહોલ:નવનિયુક્ત જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા  મહાઆરતીમાં સહપરિવાર સહભાગી બન્યા

પ્રભાસતીર્થના પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે નિત્ય સંધ્યા આરતીની શરૂઆત થઈ છે. હિરણ, કપિલા અને સરસ્વતી નદીના સંગમસ્થળે સોમપુરા તીર્થ પુરોહિતો કમર સમા પાણીમાં ઊભા રહીને ભક્તિભાવપૂર્વક આરતી કરી રહ્યા છે. સંગમ ઘાટ પર વિશેષ મહા આરતીમાં ગીર સોમનાથ જિલ્લાના નવનિયુક્ત પોલીસ અધીક્ષક જયદીપસિંહ જાડેજાએ પરિવાર સાથે સહભાગી બન્યા, શાસ્ત્રોક્ત વિધિથી ત્રિવેણી સંગમની પૂજા-અર્ચના કરી. તીર્થ પુરોહિતોના વૈદિક મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ દિવ્યમય બની ગયું. સોમપુરા તીર્થ પુરોહિત સમાજના ઉપપ્રમુખ જયવર્ધન જાનીએ એસ.પી. જાડેજાનું મોમેન્ટો આપી સન્માન કર્યું. જેમ બનારસમાં ગંગા આરતીનું મહત્વ છે, તેમ પ્રભાસતીર્થના ત્રિવેણી સંગમની આરતીને પણ એટલું જ મહત્વ આપવાના રાજ્ય સરકારના પ્રયાસોને સાકાર કરવા સ્થાનિક તીર્થ પુરોહિતો કટિબદ્ધ છે. પ્રભાસક્ષેત્રમાં હિરણ, કપિલા અને સરસ્વતી નદીનું અરબી સમુદ્ર સાથે સંગમ થાય છે. આ પવિત્ર સ્થળે દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. આજની મહાઆરતીમાં મોટી સંખ્યામાં સ્થાનિક નગરજનો અને શ્રદ્ધાળુઓએ ભાગ લીધો.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 11:12 pm

કેબિનેટ મંત્રીએ કુંવરજી બાવળીયા 5481 લાખના કામોનું ખાતમુહૂર્ત કર્યું:સરતાનપર ચેકડેમ તથા શેત્રુંજી નહેરથી છેવાડાના વિસ્તારો સુધી પૂરતું ખેડૂતોને પાણી મળી રહેશે

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર ખાતે જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષસ્થાને તથા કેન્દ્રીય ગ્રાહકોની બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણના રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા, જિલ્લા પંચાયત પ્રમુખની પ્રેરક ઉપસ્થિતિમાં ભાવનગર સિંચાઇ યોજના વર્તુળ દ્વારા સરતાનપર ચેકડેમ (બંધારા) બનાવવાનું કામ અને શેત્રુંજી ડાબા કાંઠા તથા જમણાં કાંઠા નહેરના આધુનિકીકરણના કુલ રૂ.5481 લાખના કામોનો ખાતમુહૂર્ત સમારોહ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરતાનપર ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં સરતાનપર ચેકડેમ માટે રૂ.2539 લાખ, શેત્રુંજી સિંચાઇ યોજના સી.સી.લાઈનીંગ 0 થી 55 સુધી રૂ.1646 લાખના ખર્ચે, શેત્રુંજી સિંચાઇ યોજના સી.સી.લાઈનીંગ 17 થી 36 સુધી રૂ.1296 લાખના ખર્ચે બનાવવાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સરતાનપર ચેકડેમ (બંધારા) તથા શેત્રુંજી નહેરના આધુનિકીકરણના કામોના ખાતમુહૂર્તના કાર્યક્રમમાં મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિના પરિણામે આજે ગુજરાતના તમામ વિસ્તારોમાં પાણી પહોંચ્યું છે ત્યારે એ જ દિશામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કામગીરીને સતત આગળ વધારી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકારની સાથોસાથ સિંચાઈ વિભાગે રાજ્યના તમામ ખૂણે ખૂણે સિંચાઈ અને પીવાનું પાણી પહોંચાડવા અનેકવિધ યોજનાઓ કાર્યાન્વિત કરી છે. જેના પરિણામ સ્વરૂપે આજે ગુજરાત કૃષિ, પશુપાલન, રોજગારી સહિતના ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રિમ રાજ્ય બન્યું છે. “મા” નર્મદાના નીર છેક કચ્છના છેવાડાના વિસ્તારોમાં પહોંચાડ્યા છે. ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સુજલામ-સુફલામ જળ અભિયાન, સૌરાષ્ટ્ર વિસ્તારના લોકો માટે સૌની યોજના કાર્યરત કરીને સૌરાષ્ટ્રની ધરાને હરિયાળી બનાવી છે. આમ ગુજરાતને પાણીદાર બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મંત્રીએ કહ્યું કે, ભાવનગરના તળાજા તાલુકાના સરતાનપર અને તરસરા ગામ પાસે આ ચેકડેમ યોજનાના કામમાં ત્રણ ચેકડેમ બનાવવામાં આવશે. આ ત્રણ ચેકડેમો પૈકી ફેજ-1 માં ચેકડેમ શેત્રુંજી નદી પર 450 મીટર લંબાઈ, બીજો ચેકડેમ ઢાઢ નદી પર 330 મીટર બનાવવામાં આવશે. ફેઝ-2 માં એક ચેકડેમ ફાટલબારા નજીક 70 મીટર એમ કુલ મળીને 850 મીટર ચેકડેમ આ યોજનામાં બનાવવાનું આયોજન છે. આ યોજના માટે કુલ રૂ.4943 લાખ ફાળવવામાં આવ્યાં છે. જે પૈકી ફેઝ-1 ના બાંધકામમાં કુલ રૂ.2539 લાખનો ખર્ચ થશે. આ કામ પૂર્ણ થયાં પછી હજારો લોકોને તેનો સીધો તથા આડકતરી રીતે લાભ થશે તેમ તેમણે જણાવ્યું હતું. શેત્રુંજી ડાબા કાંઠા અને જમણાં કાંઠા નહેરના આધુનિકીકરણના કામોની વાત કરતાં મંત્રીએ કહ્યું કે, જમણાં કાંઠા તથા ડાબા કાંઠામાં માઈનર કેનાલ લાઈનીંગના કામ અનુક્રમે રૂ.1296 લાખ અને 1646 લાખના ખર્ચે કરવાનું આયોજન છે. જેમાં ડાબા કાંઠા નહેરના કામો થવાથી 59 ગામોને 12 હજાર હેક્ટર વિસ્તારમાં અને જમણા કાંઠા નહેરના કામો થવાથી 52 ગામોને 14 હેક્ટર વિસ્તારમાં સિંચાઈનું પાણી મળી રહેશે તેમજ પાણીનું લીકેજ અટકશે અને છેવાડાના વિસ્તારો સુધી પૂરતાં પ્રમાણમાં ખેડૂતોને સમયસર પાણી મળી રહેશે. મંત્રીએ કહ્યું કે, સરતાનપર ચેકડેમ (બંધારા) યોજનાનાથી પાણી દરિયામાં વહી જવાના બદલે તે અહીં સંગ્રહિત થશે, જેથી 3000 હેકટર જમીનના ભૂગર્ભ જળસ્તર અને કૂવાના તળ ઊંચા આવશે. જેનાથી દરિયાની ખારાશ પણ આગળ વધતી અટકશે અને મીઠું પાણી સંગ્રહ થશે, ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળશે અને પાક ઉત્પાદન વધશે. પીવાના પાણીની તંગી દૂર થશે અને ખેડૂતોની આજીવિકામાં વધારો થશે. ખેતીલાયક ફળદ્રુપ જમીનને નુકશાન થતું અટકશે તથા ગામડાઓ સમૃદ્ધ બનશે તેમજ શેત્રુંજી ડાબા કાંઠા અને જમણાં કાંઠા નહેરના આધુનિકીકરણ કામો થવાથી જમણાં કાંઠામાં સથરા, નૈપ, કળસાર ઉપરાંત મેથળા, મધુવન, ઝાંઝમેર, ખંઢેરા ગામોમાં અગાઉ જે સમય લાગતો હતો તેના કરતાં નોંધપાત્ર ઘટાડો થઈ વહેલા પાણી પહોંચશે. હવે મેઇન કેનાલમાથી છુટી પડતી પ્રશાખા એટલે કે માઇનોર કેનાલના કામો થવાથી છેવાડાના ખેડૂતને પડતી મુશ્કેલીનું નિવારણ આવશે. ખેડૂતોને વધુ પાણી આપી શકાશે જેથી વધુ પાક લેવા માટે ખેડૂત કટિબધ્ધ બનશે. પરિણામે ખેડૂતોની આજીવિકામાં નોંધપાત્ર સુધારો થશે. ખેડૂતોના વિકાસ થકી દેશનો વિકાસ ચોક્કસપણે થશે તેમ‌ તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું. આગામી સમયમાં સરતાનપર બંદર વિકસિત બને, અહીંના લોકોને રોજગારી મળી રહે તે દિશાના પ્રયાસો સરકાર કરી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2047 સુધીના વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા ભાવનગર જિલ્લો વિવિધ ક્ષેત્રોમાં વિકાસ સાધીને સહભાગી બનવા અનુરોધ તેમણે કર્યો હતો‌. તેમણે ભાવનગર જિલ્લામાં પાણી-સિંચાઇ વિભાગની મંજૂર, પ્રગતિ હેઠળની અને આવનાર સમયમાં થનાર કામોની વિગતવાર માહિતી આપી હતી. આ તકે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે ચેકડેમ (બંધારા) તથા શેત્રુંજી નહેરના આધુનિકરણથી ખેડૂતોને લાભ થાય એવું શ્રેષ્ઠ આયોજન કરવામાં આવ્યું છે. 'સૌનો સાથ સૌનો વિકાસના' ના મંત્રથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ડબલ એન્જિન સરકારના નેતૃત્વમાં તેજ ગતિથી વિકાસ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત રાજ્ય મોડેલ સ્ટેટ તરીકે વિકસિત ભારત વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે.કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત તથા આભારવિધિ ભાવનગર જળસિંચન વિભાગના કાર્યપાલક ઇજનેર આશિષ બાલધિયા એ કર્યું હતું. આ તકે તળાજા પ્રાંત અધિકારી જે.આર.સોલંકી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વિક્રમ ડાભી, તળાજાના તાલુકા પંચાયત પ્રમુખ રાણા સોલંકી, સર્વોત્તમ ડેરીના ચેરમેન મહેન્દ્ર પનોત, હેતલબેન સહિતના અધિકારીઓ પદાધિકારીઓ આગેવાનો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 11:11 pm

બંદોબસ્તમાં ઉભેલો SRP જવાન દારૂના નશામાં ઝડપાયો હતો:હરણખાના રોડ પર ACPના ચેકિંગમાં ઝડપાયેલા જવાન સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો

વડોદરા શહેરમાં ગણેશોત્સવ દરમિયાન કોઇ પોલીસ તંત્ર દ્વારા પોલીસ અને એસઆરપી સહિતની વિવિધ એજન્સીઓના બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે પોલીસ વિસ્તારોમાં અધિકારી દ્વારા ફૂટ પેટ્રોલિંગ સાથે પોઇન્ટ પર વિઝિટ પણ કરાતી હોય છે. ત્યારે હરણખાના રોડ પર આવેલા એસઆઇપી પોઇન્ટ પર એક એસઆરપી જવાનો પીધેલા હાલતમાં પકડાયો હતો. જેથી તેના વિરુદ્ધ પીધેલાનો કેસ દાખલ કરાયો છે. એસઆરપી ચોકી ખાતે ફરજ સોંપવામાં આવી હતીદાહોદ જિલ્લાના સીમળીયા બુજર્ગ ગામે રહેતા સબુરભાઈ ગમાભાઈ પરમાર પાવડી ખાતે એસઆરપી ગ્રૂપ 4માં નોકરી કરે છે. હાલમાં ગણપતિ ઉત્સવો ચાલી રહ્યો હોય સુબરભાઇ પરમારને પાણીગેટ વિસ્તારમાં હરણખાના રોડ પર આવેલા મુસ્લિમ મેડિકલ સ્ટોર એસઆરપી ચોકી ખાતે ફરજ સોંપવામાં આવી હતી. આ પોઇન્ટ પર રાઇફલ અને જીવતા કારતુસ સાથે ફરજ બજાવતા એસઆરપી જવાન ચેકિંગ માટે એસીપી વિઝિટ કરી હતી. એસઆરપી જવાન વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલઆ દરમિયાન આ એસઆરપી જવાન પીધેલી હાલતમાં ઝડપાઈ ગયા હતા. જેથી એસીપીના ગનમેન દ્વારા આ એસઆરપી જવાનને પકડીને પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યાં હતા. પાણીગેટ પોલીસે એસઆરપી જવાન પાસેથી રાયફલ તથા 20 જીવતા કારતૂસ લઈને સિનિયર પીએસઆઇને અધિકારીની હાજરીમાં સોંપવામાં આવ્યા છે અને એસઆરપી જવાન વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરીને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 11:05 pm

ગીર સોમનાથમાં કલા મહાકુંભનું ભવ્ય આયોજન:સંસ્કૃત યુનિવર્સિટીમાં 23 સ્પર્ધાઓમાં 1200 કલાકારોએ કર્યું પ્રતિભાનું પ્રદર્શન

વેરાવળની સંસ્કૃત યુનિવર્સિટી ખાતે કલા મહાકુંભ 2025-26નું આયોજન કરવામાં આવ્યું. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનર અને યુવક સેવા વિભાગ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો. સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું કે કલા મહાકુંભ સમાજના છેવાડાના કલાકારો માટે મહત્વનું પ્લેટફોર્મ બન્યું છે. જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે કહ્યું કે રાજ્ય સરકાર યુવાનોને પ્રોત્સાહન આપવા વિવિધ અભિયાનો યોજે છે. કાર્યક્રમમાં લેખન, વકૃત્વ, નૃત્ય, ગરબા, ટીપ્પણી નૃત્ય અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવટ સહિતની 23 સ્પર્ધાઓનું આયોજન થયું. તાલુકા કક્ષાના વિજેતા 1200થી વધુ કલાકારોએ ભાગ લીધો. જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. રાવણહથ્થો અને મૃદંગમ જેવી પરંપરાગત કલાઓનું પણ પ્રદર્શન થયું. યુવા વિકાસ અધિકારી એચ.ડી.મકવાણાએ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી. આ પ્લેટફોર્મે ડાંગની દોડવીર સરિતા ગાયકવાડ, લજ્જા ગોસ્વામી, અંકિતા રૈના, ઈલાવેનિલ વાલારિવન, આર્યન નહેરા અને યશ જાવીયા જેવી પ્રતિભાઓને આગળ વધવાની તક આપી છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 11:04 pm

ગરબા માટે ખેલૈયાઓ થનગને છે:વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી ગરબામાં ગાયિકા કૈરવી બુચ સાથે ગરબાનો રંગ જમાવશે

વડોદરાના ખેલૈયાઓ માટે માઁ શક્તિની આરાધનાના નવીનતમ અને અભૂતપૂર્વ અનુભવ સાથે ગત વર્ષથી બી.આર.જી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સનફાર્મા રોડ ખાતે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી સામાજિક મૂલ્યો જેવા કે દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય, ગરીબ બાળકો માટે શિક્ષણ તેમજ નારી સશક્તિકરણ સાથે વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના ઉદ્દેશને સાર્થક કરવા માટે પ્રેરકબળ પૂરું પાડી રહ્યું છે. વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીમાં ખેલૈયાઓને ગરબા રમવાની ઉત્તમ સુવિધા સાથે સુરક્ષિત વાતાવરણ આપવામાં આવે છે. વડોદરા શહેરમાં ખાસ યુવાઓમાં જાણીતી ગાયિકા કૈરવી બુચ સાથે ગરબાનો રંગ ગત વર્ષ થી જામે છે. આ વર્ષે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી સાથે વડોદરાની જનતાને માં શક્તિની આરાધના નો નવીનતમ અનુભવ મળવા જઈ રહ્યો છે. વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી દ્વારા UNESCOમાં નામાંકિત ગુજરાતના નવલા ગરબા તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓ ની સંસ્કૃતિને મંચ આપવાનો સામાજિક ઉદ્દેશ છે. જેના દ્વારા ગુજરાતના સાંસ્કૃતિક પ્રવાસન ને પણ વેગ મળશે. આ રોજ વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીના દ્રિતીય સંસ્કરણની પત્રકાર પરિષદમાં ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન ભાગ્યેશ જહા, સુજલ એડવેરટાઈઝના પરેશભાઈ શાહ તેમજ બી.આર.જી ગ્રૂપના ચેરપર્સન લતાબેન ગુપ્તા, સી.એમ.ડી. સરગમ ગુપ્તા, મેનેજીંગ ડિરેક્ટર ડો. સપના પટેલ, ડિરેક્ટર સ્વેતા ગુપ્તા, ઊર્મિ સ્કૂલના મેનેજીંગ ડિરેક્ટર રાધિકા નાયર, ગુજરાત પબ્લિક સ્કૂલ અટલાદરાના ડિરેક્ટર અભિલાષા અગ્રવાલ, ગુજરાત પબ્લિક સ્કૂલ છાણી અને વાઘોડિયા ના ડિરેક્ટર અપેક્ષા પટેલની ખાસ ઉપસ્થિતિ રહી હતી. પત્રકાર પરિષદની શરૂઆતમાં શક્તિની આરધના સાથે વડોદરાના ખ્યાતનામ કલાકારો ના પારંપરિક નૃત્ય સાથે કરવામાં આવી હતી. ગુજરાત સાહિત્ય અકાદમી ના અધ્યક્ષ આઈ.એ.એસ ભાગ્યેશ જહાં દ્વારા પણ સાંસ્કૃતિક અંદાજ માઁ શક્તિ ની આરાધના વિષે ની જાણકારી આપવામાં આવી હતી. સાથે વડોદરા ના ખ્યાતનામ ગરબા રસિકો ગાયક કૈરવી બુચ ના સૂરો સાથે ગરબા કરતા પણ નજરે પડ્યા હતા. આ વર્ષે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી વડોદરા ની જનતા ને ખાસ કરીને સંગીતનો અનોખો અનુભવ આપતા વડોદરા માં પ્રથમ વખત ડી એન્ડ બી ઓડીઓ ટેકનીકની સાઉન્ડ સીસ્ટમનો ઉપયોગ કરનાર છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓથી લઇને યુવાઓ અને વૃદ્ધો માટે માં શક્તિ ની આરાધના માટે ભક્તિમય માહોલ આપશે. નારી શક્તિ માટે સી.સી ટીવી થી સજ્જ સુરક્ષિત વાતાવરણ આપશે. નવરાત્રી દરમિયાન સંસ્કારનગરી વડોદરા ની જનતા ને ગુજરાત ની ભાતીગઢ સંસ્કૃતિ ની વિવિધ ચીજ વસ્તુઓ થી રૂબરૂ કરાવશે. વડોદરા વાઈબ્રન્ટ નવરાત્રીમાં દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ ચીજ વસ્તુઓનો વિશેષ સ્ટોલ પણ કાર્યરત કરવામાં આવનાર છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 11:02 pm

વેરાવળના શિક્ષકોની અનોખી પહેલ:વિદ્યાર્થીના મૃત્યુ પર પરિવારને 73 હજારની સહાય, 25 પરિવારોને 19.73 લાખની મદદ

આજે શિક્ષક દિવસની દેશ ભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે શિક્ષક તરીકેના પદને ગૌરવ આપાવતી વેરાવળ તાલુકાના સરકારી શાળાના શિક્ષકોની માનવતાસભર અને ઉમદા પ્રવૃત્તિની નોંધ લેવી ઘટે. શિક્ષકો ભણતરની સાથે વિદ્યાર્થીઓને જીવનના મૂલ્યોનું શિક્ષણ આપે છે. તો સમાજ માટે આદર્શ કહી શકાય તેવા પથદર્શક કાર્યો પણ કરે છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સરકારી શિક્ષકોએ પોતાના કાર્યોથી સમાજમાં એક આગવી મિસાલ ઉભી કરી છે. સરકારી શાળામાં અભ્યાસ કરતાં કોઈ પણ વિદ્યાર્થીનું અકાળે અવસાન થાય તો તાલુકાના 700 થી વધુ શિક્ષકો આ વિદ્યાર્થી ના પરિવાર ને હૂંફ અને સાંત્વના રૂપે પોતાનું આર્થિક યોગદાન આપી કૃતજ્ઞતાનો ભાવ અર્પણ કરી રહ્યા છે. વેરાવળ તાલુકામાં આવેલી શાળાઓના કુલ 700 થી વધુ સરકારી શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓની પોતાના બાળક જેવી જ કાળજી અને દરકાર રાખે છે. આ શિક્ષકોએ છેલ્લા પાંચ વર્ષમાં અકસ્માતે અને કુદરતી રીતે અવસાન પામેલ વિદ્યાર્થીના વાલીઓને રૂ.19.73 લાખની મદદ કરી છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સરકારી શાળાના શિક્ષકોએ માનવતાની મિસાલ કાયમ કરી છે. વર્ષ 2020-21થી તાલુકામાં વિદ્યાર્થી મૃત્યુ સહાય યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા કોઈ બાળકનું મૃત્યુ થાય તો તેના પરિવારને આર્થિક મદદ કરવામાં આવે છે. તાજેતરમાં છાત્રોડા પ્રાથમિક શાળામાં ધોરણ 2માં અભ્યાસ કરતા સાત વર્ષીય રોનક બમણીયાનું હૃદયની બીમારીથી અવસાન થયું. શાળાના આચાર્યે તેના પરિવારને 73,000 રૂપિયાનો ચેક અર્પણ કર્યો. વેરાવળ તાલુકાના સરકારી શાળાના સેંકડો શિક્ષકોના માનવતાસભર આ કાર્યના પ્રણેતા એવા તત્કાલીન આચાર્ય અને વર્તમાન તાલુકા શિક્ષણ અધિકારી હરદાસ નંદાણીયાના જણાવ્યા મુજબ, એક વિદ્યાર્થીના કુદરતી મૃત્યુ બાદ આ વિચાર આવ્યો. વિદ્યાદીપ યોજનાનો લાભ ન મળી શકતા શિક્ષકોએ પોતાના પગારમાંથી મદદ કરવાનું નક્કી કર્યું. દરેક શિક્ષક સ્વૈચ્છિક રીતે પોતાના પગારમાંથી 100 રૂપિયા આપે છે. આ રકમ શાળાના આચાર્યના એકાઉન્ટમાં જમા થાય છે. ત્યારબાદ આચાર્ય ચેક દ્વારા રકમ વિદ્યાર્થીના વાલીને આપે છે. આ સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 25થી વધુ વિદ્યાર્થીઓના પરિવારોને 19.73 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે. શિક્ષકોનું માનવું છે કે આર્થિક મદદ કરતાં વધુ મહત્વનું છે મુશ્કેલ સમયમાં પરિવારની પડખે ઊભા રહેવું. આ યોજના હજુ પણ ચાલુ છે અને તાલુકાના શિક્ષકો સતત મદદ માટે તત્પર રહે છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 11:01 pm

વર્ગ-4ના 4 કર્મચારીઓને ફરજ પરથી દૂર કરાયા:બરોડા મેડિકલ કોલેજની MBBS પ્રથમ વર્ષની પરીક્ષામાં ગેરરીતિનો મામલો સામે આવ્યો, ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી એક અઠવાડિયામાં રિપોર્ટ સબમિટ કરશે

બરોડા મેડિકલ કોલેજમાં MBBS પ્રથમ વર્ષની વાર્ષિક પરીક્ષામાં ગેરરીતિનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. દેશ-વિદેશમાં નામના ધરાવતી આ કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા દરમિયાન શૌચાલયમાં જઈને મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને ચોરી કરવાનું સામે આવ્યું છે. આ ઘટનાથી મેડિકલ કોલેજના ડીન ચોંકી ઉઠ્યા હતા અને તેમણે તાત્કાલિક ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીને તપાસ સોંપી છે. આ ઘટનામાં સંડોવાયેલા વર્ગ-4ના ચાર કર્મચારીઓને પરીક્ષાની ફરજ પરથી હટાવી દેવાયા છે. MBBS પ્રથમ વર્ષની પરીક્ષામાં વિદ્યાર્થીઓ દ્વારા રૂપિયા આપીને ગેરરીતિ કરાવવાનો આક્ષેપમધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ સાથે સંલગ્ન બરોડા મેડિકલ કોલેજમાં રાજ્યભરમાંથી અને વિવિધ શહેરોમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. આ કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓએ વિદેશમાં પણ પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. તાજેતરમાં કોલેજની 75મી વર્ષગાંઠની ઉજવણી થઈ હતી, જેમાં દેશ-વિદેશના પૂર્વ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જોકે, આ ગૌરવપૂર્ણ સંસ્થામાં MBBS પ્રથમ વર્ષની પરીક્ષામાં વિદ્યાર્થીઓ દ્વારા રૂપિયા આપીને ગેરરીતિ કરાવવાના આક્ષેપે ચકચાર મચાવી છે. કમિટી એક અઠવાડિયામાં તપાસ રિપોર્ટ ડીનને સુપરત કરશેકોલેજના ડીનના જણાવ્યા અનુસાર પરીક્ષામાં સુપરવિઝન કરતા સ્ટાફનો પણ ઉધડો લેવામાં આવ્યો છે. આ ઘટનામાં વર્ગ-4ના કર્મચારીઓની સંડોવણી સામે આવી છે. ખાસ ચોંકાવનારી બાબત એ છે કે, MBBS જેવા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ શૌચાલય જવાનું બહાનું બનાવીને મોબાઈલમાંથી વાંચીને પેપર લખતા હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાની તપાસ માટે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી નિમવામાં આવી છે, જેમાં 4થી 5 તટસ્થ સભ્યો સામેલ છે. આ કમિટી એક અઠવાડિયામાં તપાસ રિપોર્ટ ડીનને સુપરત કરશે. રિપોર્ટના આધારે કસૂરવાર વ્યક્તિઓ સામે કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે, એમ ડીને જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 10:57 pm

કોડીનારના જગતિયા ગામની સીમમાં અસામાન્ય દૃશ્ય:સિંહ અને સિંહણ વચ્ચેની લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

કોડીનાર તાલુકાના જગતિયા ગામની સીમમાં એક અસામાન્ય ઘટના સામે આવી છે. અહીં સિંહ અને સિંહણ વચ્ચે થયેલી લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓએ આ અસામાન્ય દૃશ્યને પોતાના મોબાઈલમાં કેદ કર્યું હતું. સામાન્ય રીતે આવી લડાઈઓ જંગલ વિસ્તારમાં જોવા મળે છે. પરંતુ આ વખતે ગામની સીમમાં બે સિંહો વચ્ચે થયેલી લડાઈએ ગ્રામજનોનું ધ્યાન ખેંચ્યું છે. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, સિંહો વચ્ચે આવી લડાઈઓ તેમના પ્રદેશ અને આધિપત્ય માટે થતી હોય છે. જો કે, આ ઘટના ગામની નજીક બનતા વન વિભાગ સતર્ક બન્યું છે. વિભાગ દ્વારા વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 10:56 pm

UG પ્રવેશ માટે વિદ્યાર્થીઓને અંતિમ તક:GCAS દ્વારા સ્પેશિયલ એડમિશન ફેઝ-2 જાહેર, રાઉન્ડ-6થી 9નું શેડ્યૂલ બહાર પડ્યું

GCAS દ્વારા સ્નાતક કક્ષાના કાર્યક્રમોમાં પ્રવેશ માટે જે વિદ્યાર્થીઓને હજુ સુધી કોઈ પણ કોલેજમાં પ્રવેશ મળ્યો નથી અથવા જેમણે ઓફર મળ્યા છતાં પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી, તેમના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને સરકારે આ સ્પેશિયલ એડમિશન ફેઝ-2 શરૂ કર્યો છે. તાજેતરમાં, જે વિદ્યાર્થીઓએ માત્ર એક જ કોલેજ-પ્રોગ્રામ પસંદ કર્યો હતો અથવા જેમના મેરિટ સ્કોર કટ-ઓફથી ઓછા હતા, તેમને 25 ઓગસ્ટ, 2025થી 27 ઓગસ્ટ, 2025 દરમિયાન તેમની પસંદગી સુધારવાની તક આપવામાં આવી હતી. જોકે, જે વિદ્યાર્થીઓ આ તકનો લાભ લઈ શક્યા ન હતા, તેમને અંતિમ તક પૂરી પાડવામાં આવી છે. આ વિદ્યાર્થીઓને 4 સપ્ટેમ્બર, 2025 અને 5 સપ્ટેમ્બર, 2025ના રોજ ઇમેઇલ, વોટ્સએપ અને SMS દ્વારા પોર્ટલ પર તેમની પસંદગી અપડેટ કરવા માટે જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, GCAS હેલ્પલાઇન દ્વારા ફોન કોલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક) દ્વારા પણ માહિતી આપવામાં આવી હતી. આ ખાસ તબક્કા માટે પ્રવેશના રાઉન્ડ્સ નીચે મુજબ જાહેર કરવામાં આવ્યા છે: વિદ્યાર્થીઓએ આ તબક્કાઓમાં પ્રવેશ કન્ફર્મ કરવા માટે નીચે મુજબની પ્રક્રિયા અનુસરવાની રહેશે: ખાસ નોંધ:

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 10:55 pm

બોટાદ AAP પ્રમુખે ગંભીર આક્ષેપો કરતા વિડિયો વાઈરલ કર્યો:બોટાદમાં ચાલી રહેલા દારૂ અને જુગારના અડ્ડાઓ બંધ કરવા નવા એસપીને વિનંતી કરી

બોટાદ જિલ્લાનાં હોમગાર્ડ કમાન્ડર દશરથ ચૌહાણ સરકારી વાહનમાં દારૂની હેરાફેરી કરતા પકડાયા છે. આ ઘટના અંગે જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પરસોત્તમભાઈ રાઠોડે વિડિયો વાયરલ કરીને ગંભીર આરોપો મૂક્યા છે. પરસોત્તમભાઈ રાઠોડે જણાવ્યું કે હોમગાર્ડ કમાન્ડર દર શનિવાર-રવિવારે દારૂની હેરાફેરી કરી વેચાણ કરતા હતા. તેમણે નવા એસપીને આ કાર્યવાહી માટે અભિનંદન આપ્યા છે. રાઠોડે આરોપ મૂક્યો છે કે હોમગાર્ડ કમાન્ડર હોમગાર્ડના જવાનો પર અત્યાચાર કરતા હતા. આ મુદ્દે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. તેમણે એવો પણ આરોપ મૂક્યો છે કે જિલ્લાના કેટલાક ભાજપના નેતાઓ હોમગાર્ડ કમાન્ડરને રક્ષણ આપી રહ્યા છે. AAP પ્રમુખે બોટાદમાં ચાલી રહેલા દારૂ અને જુગારના અડ્ડાઓ બંધ કરવા નવા એસપીને વિનંતી કરી છે. તેમણે આરોપ મૂક્યો છે કે આ અવૈધ પ્રવૃત્તિઓને ભાજપના નેતાઓનું સંરક્ષણ છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 10:45 pm

બોટાદમાં 76મા વન મહોત્સવની ઉજવણી:નવોદય વિદ્યાલય ખાતે 'એક પેડ મા કે નામ 2.0' અભિયાન શરૂ, વિધાનસભાના મુખ્ય દંડક ઉપસ્થિત

બોટાદની પી.એમ. જવાહર નવોદય વિદ્યાલય ખાતે 76મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વેકરીયાએ વન સંરક્ષણ અને વૃક્ષારોપણના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની લીલુંછમ ભારત બનાવવાની દ્રષ્ટિને સાકાર કરવા દરેક નાગરિકે એક વૃક્ષ વાવવું જોઈએ. બોટાદ કલેક્ટર ડો. જીન્સી રોયે ક્લાઈમેટ ચેન્જ સામે લડવા વૃક્ષારોપણનું મહત્વ સમજાવ્યું. કાર્યક્રમમાં અગ્ર મુખ્ય વન સંરક્ષક આર.કે. સુગૂર, ડિડિઓ અક્ષય બુડાનીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ હાજર રહ્યા. ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, પૂર્વ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, APMC ચેરમેન મનહરભાઈ માતરીયા, ભોળાભાઈ રબારી, સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં વૃક્ષારોપણ માટે પ્રેરક ઉદબોધનો અપાયા. વૃક્ષ રથનું પ્રસ્થાન કરાવાયું. નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 10:42 pm

ગઢડામાં ઝળઝીલણી એકાદશીનો લોકમેળો:ગઢડાના બોટાદ રોડપર બે દિવસીય મેળામાં માનવ મહેરામણ ઉમટ્યો, ચકડોળ-ખાણીપીણીની મોજ

ભાદરવા માસની ઝળઝીલણી એકાદશી નિમિતે ગઢડાના બોટાદ રોડપર આવેલ ગ્રાઉન્ડ પર બે દિવસીય લોકમેળો યોજાયો છે. એકાદશીના પાવન દિવસે ગઢડા શહેર ભક્તિમય માહોલમાં રંગાઈ ઊઠ્યું હતું. મેળાના બીજા દિવસે રાત્રિના સમયે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મેળામાં વિવિધ પ્રકારના ચકડોળ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. બાળકો માટે રમતોના સ્ટોલ્સ અને ખાણીપીણીના મજેદાર સ્ટોલ્સ લગાવવામાં આવ્યા હતા. પરિવારજનો રાત્રે ચમકતી લાઈટોમાં ચકડોળની મોજ માણતા જોવા મળ્યા હતા. બાળકો અને યુવાનોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. ગઢડા પોલીસે મેળામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. ટ્રાફિક નિયંત્રણ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેથી લોકોને કોઈ અસુવિધા ન પડે તેની તકેદારી રાખવામાં આવી હતી. આ મેળામાં સાંસ્કૃતિક અને ધાર્મિક સમન્વય જોવા મળ્યો હતો. ગઢડાનો આ એકાદશી મેળો લોકો માટે ભક્તિ, મોજમસ્તી અને એકતાનું પ્રતીક બન્યો હતો.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 10:41 pm

હોસ્ટેલના વિદ્યાર્થીને માર મારવાનો મામલો:ભોગ બનનાર વિદ્યાર્થીના વાલીએ સ્કૂલ સંચાલક પર ગંભીર આક્ષેપો કર્યા, સંચાલકે સ્વીકાર્યું- સ્કૂલ નજીક સાર્વજનિક પ્લોટમાં વંડો બનાવ્યો

જુનાગઢ શહેરની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવાના મામલાએ ગંભીર વળાંક લીધો છે. પીડિત વિદ્યાર્થીના પરિવારજનોએ શાળા અને હોસ્ટેલ સંચાલકો સામે અનેક આક્ષેપો કર્યા છે, જેમાં સાર્વજનિક પ્લોટ પર ગેરકાયદેસર દબાણ અને ફી બાબતે ગેરરીતિનો પણ સમાવેશ થાય છે. પોલીસે આ મામલે સઘન તપાસ શરૂ કરી છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહીના સંકેતો આપ્યા છે. સાર્વજનિક પ્લોટ પર દબાણ અને ગેરરીતિના આક્ષેપોપરિવારજનોનો મુખ્ય આક્ષેપ એ છે કે, મધુરમ બાયપાસ નજીક આવેલો એક સાર્વજનિક પ્લોટ શાળાએ દબાવી દીધો છે. તેમના જણાવ્યા અનુસાર, શાળાએ આ જાહેર પ્લોટમાં દીવાલ બનાવી દીધી છે અને તેને શાળાની મિલકત તરીકે દર્શાવી દીધી છે. આ પ્લોટમાં ટ્રેક્ટર અને જેસીબી જેવા વાહનો પણ મૂકી દેવામાં આવ્યા છે. પરિવારજનોએ મહાનગરપાલિકામાં આ મુદ્દે રજૂઆત કરી જાહેર જગ્યાઓ ખુલ્લી કરાવવાની માંગ કરી છે. આ ઉપરાંત, પરિવારજનોએ હોસ્ટેલની ફી બાબતે પણ ગેરરીતિના આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે, હોસ્ટેલની ફીની પહોંચમાં હોસ્ટેલનું નામ જ ગાયબ હતું. આના કારણે કોઈ ષડયંત્ર રચાતું હોવાનું પણ તેમને લાગી રહ્યું છે. શાળા સંચાલકે દબાણ સ્વીકાર્યું, કારણ આપ્યુંઆ મામલે આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકે પોતાનો પક્ષ રજૂ કર્યો. તેમણે સ્વીકાર્યું કે તેમની માલિકીના પ્લોટ પાસે એક સાર્વજનિક પ્લોટ અને કૂવો આવેલા છે. સંચાલકે પોતે કબૂલ્યું કે, સાર્વજનિક પ્લોટમાં કૂવો આવ્યો છે, જેમાં કોઈ વિદ્યાર્થી પડી ન જાય અને અકસ્માત ન થાય તે માટે વંડો બનાવવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ જગ્યાનો ઉપયોગ સોસાયટીના લોકોને પ્રસંગો અને પાર્કિંગ માટે કરવા દેવામાં આવે છે. તેમણે એ પણ જણાવ્યું કે ડિસેમ્બર-2025માં હોસ્ટેલનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ રહ્યો છે. પોલીસની કડક કાર્યવાહી અને ભવિષ્યના પગલાંવિદ્યાર્થીને માર મારવાના મામલામાં પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી વિદ્યાર્થીઓના નિવેદનો લીધા છે અને તેમના વાલીઓનો પણ સંપર્ક કર્યો છે. આ ઘટનાને પગલે શાળાએ તમામ આરોપી વિદ્યાર્થીઓના નામ રદ કરી દીધા છે. પોલીસ વિભાગે આ મામલે શિક્ષણ વિભાગને પત્ર લખીને હોસ્ટેલ અને શાળા સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની જાણ કરી છે. આ ઉપરાંત, તમામ આરોપી વિદ્યાર્થીઓને શનિવારે જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ ઘટનાએ શિક્ષણ સંસ્થાઓની બેદરકારી અને ગેરરીતિઓ અંગે અનેક સવાલો ઉભા કર્યા છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 10:37 pm

વડોદરામાં ચામાચીડિયા ગેંગ પકડાઈ:સવારે રેકી કર્યાં બાદ રાત્રી ઘરફોડ ચોરી કરતી MPની ગેંગના બે સાગરીતોને પોલીસે સુશેન સર્કલ પાસેથી દબોચ્યાં, 4 ફરાર

વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં મોડી રાત્રીના સમયે ત્રાટકીને ઘરફોડ ચોરીને અંજામ આપી પોલીસના નાકમાં દમ કરનાર મધ્યપ્રદેશની ચામાચીડિયા ગેંગના બે સાગરીતોને માંજલપુર પોલીસે સુસેન સર્કલ પાસેથી ઝડપી પાડ્યાં છે. જ્યારે અન્ય ચાર આરોપી નહી પકડાતા વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવા તજવીજ શરૂ કરી છે. તસ્કરો પાસેથી ચોરી કરવાના માટેનો રૂ.5 હજારનો સામાન જપ્ત કરાયો છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ચડ્ડીબિયાન ધારી ગેંગ દ્વારા મોડી રાત્રીના સમયે ત્રાટકીને ચોરીઓને અંજામ આપી પોલીસની નાકમાં દમ કરી નાખ્યો હતો. ઘણા વિસ્તારના આ ગેંગ દેખાઇ હોવાની CCTV ફુટેજ પણ વાઇરલ થયા હતા. જેથી પોલીસ સતત આ ગેંગને ઝડપી પાડવા માટે મોડી રાત્રીના સમયે વોચમાં ફરતી હતી. આ દરમિયાન માંજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એલ ડી ગમારાના માર્ગદર્શન હેઠળ માંજલપુર પોલીસને સીસીટીવી ફુટેજની ઝીણવટ ભરી તપાસ કરી હતી. જેમાં આ ફૂટેજમાં બે શખ્સો બુધવારના રોજ રાત્રીના સમયે સુસેન સર્કલ પાસે એકે ખભે સ્કુલ બેગ લટકાવેલું હોય શંકાસ્પદ હાલતમાં ઝડપાયો હતો. જેથી તેને પકડી પૂછપરછ કરી હત્યાં બાદ તેના બેગમાં તપાસ કરી હતી ત્યારે ચોરી કરવાના સાધનો મળ્યા હતા. પોલીસે આ શખ્સની કડકાઇથી પૂછપરછ કરી હતી ત્યારે તે ભાગ પડ્યો હતો અને તેઓ મધ્યપ્રદેશના ઉજ્જૈન, મનસોર સુવાસરા વિસ્તારના રહેવાસી હોય ગુજરાતમાં ફુગ્ગા વેચવા માટે પરિવાર સાથે આવતા હોય છે. તેમજ પરિવારના અન્ય સભ્યો ફુગ્ગા વેચતા હોય છે જ્યારે તેઓના પુરુષો રાત્રીના સમયે વડોદરા શહેરી વિસ્તારમાં ચડ્ડીબનિયાનનો વેશ ધારણ કરીને ચોરીને અંજામ આપે છે. મધ્યપ્રદેશના આ લોકોએ ભેગા મળીને તેમની ગેંગને ચામાચીડિયા ગેંગ નામ પણ આપ્યું છે. આ ગેંગમાં ગુનાહિત ભૂતકાળ ધરવાત આરોપી સહિતના ગેંગ બનાવાઇ છે. જેમાંથી ઉજ્જૈનમાં પોલીસ પર હુમલો કરવાના ગુનામાં પણ એક આરોપી દેવરાજ ઉર્ફે દેવા ભુરિયા સોલંકી ઝડપાયો છે. જ્યારે 4 આરોપીને નહી પકડાતા તેમને વોન્ટેડ જાહેર કર્યાં છે. ઝડપાયેલા આરોપીઓના નામ ફરાર આરોપી ગેંગની મોડેસ ઓપરેન્ડીચામાચીડિયા ગેંગના આરોપીઓ રાત્રીના સમયે ચડ્ડી બનિયાન પહેરીને ચોરી કરવાના સાધનોનો ઉપયોગ કરી બંધ મકાનોને ટાર્ગેટ તરતા હતા. ત્યારાબદ દિવસ દરમિયાન ફુગ્ગા વેચવાના બહાને અલગ અલગ સોસાયટીમાં જઇ બંધ મકાનની રેકી કરતી રાત્રીના સમયે ખેલ પાડતા હતા.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 10:31 pm

200 ગ્રામ MD ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો:મહારાષ્ટ્રથી ટ્રેનમાં સુરત આવ્યો ને પત્નીને બહેનની ઘરે મૂકવા જતા પોલીસે દબોચ્યો, ડ્રગ્સની ડિલિવરી કરે તે પહેલા પકડાયો

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્ર જલગાવથી ટ્રેન મારફતે ઉમરવાડા ચીમની ટેકરા સલીમનગર ઝૂંપડપટ્ટીમાં એમડી ડ્રગ્સની ડીલેવરી કરવા આવનાર મહારાષ્ટ્રના એક શખ્સને ઝડપી પાડી પોલીસે તેઓની પાસેથી રૂ.19.87 લાખનો 198.760 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો, મોબાઈલ ફોન અને રોકડ રૂ.1520 મળી કુલ રૂ.20.04 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે એમડી ડ્રગ્સ મોકલનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા હતા. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા 9 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર આરોપી ટ્રક ડ્રાઈવરને ઝડપી પાડ્યોક્રાઈમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી અનુસાર સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, મહારાષ્ટ્ર જલગાવ ખાતેથી એક શખસ એઝાઝ શેખ એમડી ડ્રગ્સનો જથ્થો લઈ આવી સુરતના ઉમરવાડા ચીમની ટેકરા સલીમનગર ઝુપડપટ્ટીમાં કોઈક શખસને ડિલિવરી કરવાનો છે. આ બાતમીના આધારે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે ઉમરવાડા ચીમની ટેકરા ખાતે સલીમનગર ઝૂંપડપટ્ટીના ઘર નંબર-14ના પહેલા માળે રૂમમાં રેડ પાડી એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર આરોપી ટ્રક ડ્રાઈવર એઝાઝ ઉર્ફે છોટયા ઉસ્માન શેખ (રહે.ગામ પાલઘી સાઠઘર મહોલ્લો જી.જલગાવ મહારાષ્ટ્ર) ને ઝડપી પાડ્યો હતો. આરોપી ડ્રગ્સ લઈ પત્ની સાથે સુરત આવ્યો હતોપોલીસે તેની પાસેથી રૂ.19,87,600નો વજન 198.760 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મોબાઈલ ફોન અને રોકડ રૂ.1520 અને જલગાંવ-સુરતની રેલવે ટિકિટ મળી કુલ રૂ.20,04,120નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપીની એમડી ડ્રગ્સ બાબતે પૂછપરછ કરતા આરોપી એઝાઝ એમડી ડ્રગ્સનો જથ્થો કૌટુંબિક ભત્રીજો અબરાર ઉર્ફે હાજી ઉર્ફે જિલ્લાની મુકતાર શેખ રહે માસ્ટર કોલોની બોમ્બે બેકરી પાસે જલગાંવ મહારાષ્ટ્ર) પાસેથી લઇ આવ્યો હતો. જે ડ્રગ્સ લઈ તે તેની પત્ની સાથે મહારાષ્ટ્ર જલગાવથી ટ્રેન મારફતે સુરત ખાતે આવ્યો હતો. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા 9 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યાસુરતના સરફરાજને ડ્રગ્સની ડિલિવરી કરવાનો હતો પરંતુ, ડ્રગ્સની ડિલિવરી કરવા પહેલા તેની પત્નીને બહેનના ઘરે મૂકવા માટે ગયો હતો. તે સમયે જ તેમની બહેનના ઘરેથી જ તે પકડાઈ ગયો હતો. આરોપી એઝાઝ શેખએ 4 મહિના પહેલા પણ આ રીતેજ મહારાષ્ટ્રથી એમડી ડ્રગ્સ લઈ આવી સુરતમાં કોઈક શખ્સને વેચાણ કર્યું હતું. જ્યારે પોલીસે એમડી ડ્રગ્સ આપનાર અબરાર ઉર્ફે હાજી ઉર્ફે જિલાની મુખ્તાર શેખને અને એમડી ડ્રગ્સ મંગાવનાર સુરતના સરફરાઝને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ અંગે વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. આજે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 9 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 10:27 pm

ગોધરામાં સહકાર મંત્રીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક:પંચામૃત ડેરી અને BAPS મંદિરમાં ખેડૂત-દૂધ ઉત્પાદકોના હિત માટે સમીક્ષા બેઠક યોજાઈ

ગોધરાની પંચામૃત ડેરી ખાતે સહકાર વિભાગના કેબિનેટ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં સહકારથી સમૃદ્ધિ વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ. બેઠકમાં પંચમહાલ જિલ્લાના સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવા અને ખેડૂતો-દૂધ ઉત્પાદકોને સીધો લાભ મળે તે અંગે ચર્ચા કરવામાં આવી. ગોધરા શહેરના રામનગર સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે પંચમહાલ જિલ્લાની સહકારી સંસ્થાઓનો સેમિનાર યોજાયો. સેમિનારમાં સહકારી આંદોલનને વેગવંતુ બનાવવા અને સંસ્થાઓ વચ્ચે સંકલન વધારવા માટે વિચાર-વિમર્શ થયો. મંત્રી વિશ્વકર્માએ સહકારી સંસ્થાઓને દૂધ ઉત્પાદન ઉપરાંત અન્ય કૃષિ આધારિત ક્ષેત્રોમાં નવા પ્રયોગો કરવા આહ્વાન કર્યું. તેમણે જણાવ્યું કે સહકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવી શકાય છે. કાર્યક્રમમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ અને પંચામૃત ડેરીના ચેરમેન ઉપસ્થિત રહ્યા. લોકસભા અને રાજ્યસભા સાંસદો, દાહોદ અને પંચમહાલ જિલ્લાના ધારાસભ્યો તેમજ ત્રણેય જિલ્લાની સહકારી મંડળીઓના પદાધિકારીઓએ પણ હાજરી આપી. સેમિનારમાં સહકારી સંસ્થાઓની કામગીરીને વધુ પારદર્શક બનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 10:21 pm

ગોધરામાં ત્રણ અલગ-અલગ ગુનાઓ:ગણેશ વિસર્જન વખતે મોબાઈલની ચોરી, જુગારધારા હેઠળ બે ઝડપાયા, દહેજ માટે પરિણીતાને ત્રાસ

ગોધરા શહેરમાં એક જ દિવસે ત્રણ અલગ-અલગ ગુનાઓની નોંધણી થઈ છે. પ્રથમ ઘટનામાં, કંકુથાંભલા ગામના 20 વર્ષીય રાહુલ ભાભોરનો મોબાઈલ ફોન ગણેશ વિસર્જન દરમિયાન હોળીચકલા વિસ્તારમાંથી ચોરાયો હતો. રૂ. 33 હજારની કિંમતનો મોબાઈલ અજાણ્યા શખ્સે તેમના ખિસ્સામાંથી સેરવી લીધો હતો. બીજી ઘટનામાં, પંચમહાલ એલસીબી પોલીસે પોલન બજારમાં આંકડાનો જુગાર રમાડતા બે શખ્સોને પકડ્યા છે. અલ્પેશ પ્રજાપતિ અને આસિફ મીઠાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મેફુઝ ઉર્ફે કચુકા અને મોહસીન ઉર્ફે ભોભો ફરાર થઈ ગયા છે. પોલીસે રૂ. 5,860નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્રીજી ઘટનામાં, ગોધરાના કડિયાવાડ વિસ્તારની 22 વર્ષીય પરિણીતાએ સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. દાહોદ નિવાસી પતિ યુનુસ શેખ, સાસુ સલમા શેખ અને રૂકશાર શેખ દહેજમાં પાંચ લાખ રૂપિયાની માગણી કરી શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. મહિલા પોલીસ સ્ટેશનમાં તમામ સાસરિયાઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 10:20 pm

25 ગામોને જોડતા ડેરોલ સ્ટેશનનો અંડરબ્રિજ જર્જરિત:બ્રિજમાં ગાબડાં, દૂધ ભરવા જતી મહિલાઓ બચી, વાહન વ્યવહાર બંધ

કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ખાતે રેલવે અંડરબ્રિજમાં મોટા ગાબડા પડ્યા છે. સતત વરસાદને કારણે પાણી ભરાવાથી અંડરબ્રિજની સ્થિતિ વણસી છે. આ બ્રિજ આસપાસના 25 ગામોનો મુખ્ય જોડાણ માર્ગ છે. આજે સવારે દૂધ ભરવા જતી ચાર મહિલાઓ અંડરબ્રિજમાંથી પસાર થઈ રહી હતી. તે સમયે ગાબડા પડવાથી તેઓ મોટી દુર્ઘટનાથી બચી ગઈ. સલામતીના કારણોસર હાલમાં વાહન વ્યવહાર માટે બ્રિજ બંધ કરી દેવાયો છે. માત્ર રાહદારીઓને જ પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે. સ્થાનિક સામાજિક કાર્યકર લાલાભાઈ બારોટે જણાવ્યું કે દરરોજ 100થી વધુ ટ્રેનો આ અંડરબ્રિજ ઉપરથી પસાર થાય છે. ભારે રેલવે ટ્રાફિકને કારણે બ્રિજ બેસી ગયો છે. રેલવે તંત્રે નજીવું સમારકામ કર્યું હતું, જે અપૂરતું સાબિત થયું છે. ડેરોલ સ્ટેશન વિસ્તારમાં એક હાઈસ્કૂલ અને અન્ય શાળાઓ આવેલી છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ અંડરબ્રિજનો ઉપયોગ કરે છે. સ્થાનિક રહીશોએ રેલવે તંત્રને વારંવાર રજૂઆત કરી છે. પરંતુ કોઈ યોગ્ય પગલાં લેવાયા નથી. ડેરોલ સ્ટેશન વ્યાપાર-ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર છે. અહીં APMC, શાળાઓ અને રેલવે સ્ટેશન આવેલા છે. કાલોલને જોડતા 25થી 40 ગામોના લોકો આ માર્ગનો ઉપયોગ કરે છે. સ્થાનિક નાગરિકોની માંગ છે કે રેલવે પ્રશાસન તાત્કાલિક સમારકામ કરાવે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 10:18 pm

ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સ્થિતિ અંગે કોંગ્રેસનો આક્ષેપ:10 વર્ષ પછી પણ વિભાગો માટે પૂરતી જગ્યા નથી, PG કોર્સ સેલ્ફ ફાઈનાન્સ ધોરણે

ગોધરા ખાતે કોંગ્રેસના પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે 10 વર્ષ જૂની યુનિવર્સિટી પાસે હજુ પણ વિભાગો ચલાવવા માટે પૂરતી જગ્યા નથી. યુનિવર્સિટીની વેબસાઈટ મુજબ, અનેક સેન્ટરો અન્ય સ્થળોએ ચાલે છે. પીજી કોર્સ માત્ર સેલ્ફ ફાઈનાન્સ આધારે ચલાવવામાં આવે છે. કોંગ્રેસે 'શિક્ષણ બચાવો અભિયાન' અંતર્ગત આ મુદ્દો ઉઠાવ્યો છે. કઠવાડિયાએ રાજ્યની શાળાઓની સ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે અનેક શાળાઓમાં વર્ગખંડો, રમતનું મેદાન અને શિક્ષકોની અછત છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીએ રાજ્યની યુનિવર્સિટીઓના રેન્કિંગમાં થયેલા ઘટાડા અંગે પણ સરકાર પર પ્રહાર કર્યા છે. પત્રકાર પરિષદ વિશ્વકર્મા ચોક પાસે આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાઈ હતી. કોંગ્રેસના નેતાઓએ આરોપ મૂક્યો છે કે સરકારની નિષ્ક્રિયતાને કારણે રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓની ગુણવત્તા કથળી રહી છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 10:15 pm

ગોધરાની આદિવાસી આશ્રમશાળામાં આરોગ્ય કેમ્પ:108 બાળકોની 4D તપાસ, સિકલસેલ સ્ક્રીનિંગ અને રસીકરણ કરાયું

ગોધરાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કલ્યાણા શ્રી આદિવાસી આશ્રમશાળા-ટુવા ખાતે વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અંતર્ગત આ કેમ્પમાં વિવિધ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. એન.એમ. ડામોરના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો. કેમ્પમાં RBSK ડોક્ટરની ટીમ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ટુવાના સ્ટાફે સેવાઓ આપી. શાળાના 108 બાળકોની 4D આરોગ્ય તપાસણી કરવામાં આવી. કેમ્પમાં સિકલસેલ ટેસ્ટ સ્ક્રીનિંગ અને એનિમિયા મુક્ત ભારત અંતર્ગત T-3 કેમ્પમાં હિમોગ્લોબીન તપાસ કરાઈ. બાળકોને ધનુર-ડિપ્થેરિયાની રસી આપવામાં આવી. વિદ્યાર્થીઓને સ્વચ્છતા, પોષણ અને ચોમાસામાં વાહકજન્ય રોગોથી બચવાના ઉપાયો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કલ્યાણાના મેડિકલ ઓફિસર ડૉ. ફાલ્ગુની પલાસ, RBSK ડૉક્ટર્સ સંદીપ પટેલ અને નેહા પંચાલ, CHO યોગેશભાઈ વાળંદ, લેબ ટેકનિશિયન જિજ્ઞાસાબેન પટેલ, FHW શિલ્પાબેન અને નૌકાબેન તેમજ MPHW સલીમભાઈ હાજર રહ્યા હતા. શાળાના પ્રિન્સિપાલ અને સ્ટાફે પણ કાર્યક્રમમાં સહયોગ આપ્યો.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 10:13 pm

ગોધરામાં માજી ​​​​​​​સૈનિકોની શાંતિપૂર્ણ રેલી અટકાવાઈ:ગાંધીનગરમાં સૈનિકોનું 23 દિવસથી આંદોલનના સમર્થનમાં રેલી, આવેદન પાત્ર અપાયું

ગુજરાત રાજ્યના માજી સૈનિકો પોતાના હક અને માગણીઓ માટે છેલ્લા 23 દિવસથી ગાંધીનગરમાં શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા છે. સરકાર તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી. 19 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત રાજ્ય માજી સૈનિક સંગઠનના પ્રમુખ જીતેન્દ્ર નિમાવતે 'સૈનિક અધિકારી મહારેલી'નું આયોજન કર્યું હતું. પરંતુ વહેલી સવારે પોલીસે સેક્ટર-6, સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચી માજી સૈનિકો, તેમના પ્રમુખ અને વીરનારીઓની ધરપકડ કરી હતી. શાંતિપૂર્ણ રેલીને બળજબરીથી અટકાવવામાં આવી હતી. 4 સપ્ટેમ્બરના રોજ માજી સૈનિક ફાઉન્ડેશને જિલ્લા સેવાસદન કચેરીમાં આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આવેદનપત્રમાં માજી સૈનિકોની મુખ્ય માગણીઓ રજૂ કરવામાં આવી હતી. સાથે સરકારના મૌન વલણ સામે વાંધો પણ ઉઠાવવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 10:10 pm

ગોધરામાં દાઉદી વ્હોરા સમાજનું ભવ્ય જુલુસ:પયગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે વિવિધ સમાજના અગ્રણીઓએ કર્યું સ્વાગત

ગોધરા શહેરમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા હઝરત પયગંબર સાહેબ મોહમ્મદ રસુલુલ્લાહના મિલાદ પ્રસંગે જુલુસનું આયોજન કરવામાં આવ્યું. જુલુસની શરૂઆત વ્હોરવાડ સ્થિત જમાલી મસ્જિદથી થઈ. જુલુસ શહેરના મુખ્ય માર્ગો પર ફર્યું. આ દરમિયાન ચોકી નંબર 2, સોનીવાડ, ચોકી નંબર 1 અને નવા બજારનો માર્ગ કવર કર્યો. જુલુસ બુરહાની મસ્જિદ ખાતે સમાપ્ત થયું. દાઉદી વ્હોરા સમાજના સભ્યો બેન્ડવાજાની સુરાવલીઓ સાથે શિસ્તબદ્ધ રીતે જોડાયા. આ પ્રસંગે 52મા ધર્મગુરુ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન અને 53મા ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબના જન્મદિવસની પણ ઉજવણી કરવામાં આવી. જુલુસમાં સમાજના ભાઈઓ, બહેનો અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા. લાયન્સ ક્લબ ગોધરા, સેવા ઓર્ગેનાઇઝેશન ઇન્ડિયા, પંચમહાલ પત્રકાર એકતા પરિષદ, ગાયત્રી પરિવાર અને મુસ્લિમ સમાજના અગ્રણીઓએ આમિલ સાહેબનું સ્વાગત કર્યું. સાથે જ દાઉદી વ્હોરા સમાજના ઇમરાનભાઈ ઈલેક્ટ્રીકવાલા, મનસુરભાઈ લોખંડવાલા અને અન્ય અગ્રણીઓનું પણ સ્વાગત કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 10:05 pm

વડોદરા સમાચાર:વડોદરા એરપોર્ટ પર વધુ લાઇબ્રેરી શરૂ કરાઈ, એરપોર્ટ ડિરેક્ટરના હસ્તે ઉદ્ઘાટન

વડોદરા હરણી ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે મુસાફરો માટે વધુ એક સુવિધાનો ઉમેરો કરવામાં આવ્યો છે. એરપોર્ટ વિસ્તારમાં આવેલ લોન્જ એરિયામાં મુસાફરો માટે એક પુસ્તકાલયનું ઉદ્ઘાટન એરપોર્ટ ડાયરેક્ટર એમ એસ આઈ દાઉદ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન એરપોર્ટના ડિરેક્ટર અને સ્ટેશન મેનેજર ઈન્ડિગો અને એર ઈન્ડિયાના HOD હાજર હતા. વિશ્વમાં પહેલું ઇન્ડસ્ટ્રીયલ ફિલ્ટર પ્લાન્ટ ધરાવતું ગણેશ વિસર્જન કુંડ વડોદરામાંવડોદરામાં ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ વિસર્જન માટે વિશેષ કુત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે. છેલ્લા આઠ દિવસ દરમિયાન અહીં 1555 થી વધુ શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન ધાર્મિક પરંપરા અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરવામાં આવ્યું છે. વિસર્જન કુંડની સ્વચ્છતા અને વ્યવસ્થા ભક્તોને ખુબ ગમી રહી છે. ખાસ વાત એ છે કે, આ વર્ષે વિશ્વમાં પ્રથમ વખત વિસર્જન કુંડમાં ઇન્ડસ્ટ્રીઅલ ફિલ્ટર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે, જે સતત પાણીનું શુદ્ધિકરણ કરે છે. વડોદરાના વિવિધ વિસ્તારોમાંથી આવતા ભક્તો આ સુવિધાનો લાભ લઈ રહ્યા છે. સમિતિના સભ્ય તરંગ શાહે જણાવ્યું કે, 3 ફૂટ સુધીની માટીની શ્રીજીની મૂર્તિ વિસર્જન માટે તમામ ભક્તોને આમંત્રણ આપવામાં આવે છે. આ સાથે જ પર્યાવરણને અનુકૂળ વ્યવસ્થા માટે ફુલહાર અને પૂજાપા એકત્રિત કરીને ખાતર બનાવવાનું મશીન પણ મુકાયું છે. છેલ્લા આઠ દિવસમાં આશરે 12.8 ટન ફુલહાર એકત્રિત કરવામાં આવ્યો છે. આયોજનમાં વધુ એક આકર્ષણ સિંદૂર ઝાડ છે. વિસર્જન કુંડની બાજુમાં સ્થાપિત આ ઝાડને શક્તિ સ્થળ તરીકે ઓળખ આપવામાં આવી છે. અહીં આવતા બાળકો આર્મીના જવાનો માટે પોતાના શુભેચ્છા સંદેશા લખીને ઝાડ પર લટકાવે છે. આ બધા સંદેશા આગળ ચાલીને વડાપ્રધાનને મોકલવામાં આવશે. સમગ્ર પંડાલમાં મારું વડોદરા, સ્વચ્છ વડોદરાના સંકલ્પ સાથે સફાઈ અને શિસ્તને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી છે. ફટાકડા અને ડી.જે. પર પ્રતિબંધ મૂકી શાંતિપૂર્ણ વાતાવરણનું નિર્માણ કરાયું છે. અત્યાર સુધીમાં 2 લાખથી વધુ ભક્તોએ પંડાલની મુલાકાત લીધી છે અને સૌ કોઈ સ્વચ્છતા તથા અનોખી વ્યવસ્થા માટે સમિતિને બિરદાવે છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 10:05 pm

રાજકોટ સમાચાર:રાજકોટ મનપાના જુદા-જુદા 6 મેદાન ભાડે આપવાનાં ટેન્ડર પ્રસિદ્ધ, ગતવર્ષે રૂ. 50 લાખની થઈ હતી આવક

રાજકોટ મહાપાલિકા દ્વારા નવરાત્રી માટે મેદાનો ભાડે આપવા ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. જેમાં રેસકોર્સનાં બે મેદાન સહિત કુલ 6 મેદાનનો સમાવેશ થાય છે. આ ટેન્ડર માટે અરજી કરવાની અને તેને ખોલવાની છેલ્લી તારીખ 11 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ પ્રતિ ચોરસ મીટરના ભાવે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. મનપાને ગત વર્ષે આ મેદાનોના ભાડાથી લગભગ રૂ. 50 લાખની આવક થઈ હતી. રેસકોર્સના બંને મેદાન 12,000 ચોરસ મીટરથી વધુ મોટા છે. જ્યારે અન્ય મેદાન જેવા કે નાનામવા સર્કલ, અમીન માર્ગ અને સાધુ વાસવાણી રોડના પ્લોટ પણ નવરાત્રી માટે ઉપલબ્ધ છે. જોકે, પ્રમુખસ્વામી ઓડિટોરિયમ પાસેના 3,000 ચોરસ મીટરના પ્લોટમાં આયોજકો ઓછો રસ દાખવે છે. તા. 8 સપ્ટેમ્બરે પ્રી-બિડ મીટિંગ યોજાશે. ટેન્ડર મોકલવાની છેલ્લી તારીખ 10 સપ્ટેમ્બર છે, અને તેને ખોલવાની તારીખ 11 સપ્ટેમ્બર છે. જે પાર્ટી સૌથી વધુ ભાવની ઓફર કરશે, તેમને 20 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી એટલે કે 13 દિવસ માટે મેદાન ભાડે આપવામાં આવશે. રેસકોર્સ સ્થિત આર્ટ ગેલેરીમાં શનિવારથી લઈ સોમવાર સુધી ચિત્ર પ્રદર્શન યોજાશે રાજકોટ મહાનગરપાલિકાના સહયોગથી પલ્લવી આર્ટ ફાઉન્ડેશન દ્વારા સ્વ. પલ્લવીબેન કિશોરભાઈ ત્રિવેદી દ્વારા તૈયાર કરેલ ચિત્રોના પ્રદર્શન અને શૈલી ત્રિવેદી દ્વારા ચિત્રકલા પર રચિત ‘અ બ્લેઝ ઇન સાયલન્સ’ પુસ્તકનું વિમોચન તા.6ના શનિવારના રોજ સાંજે 5:30 કલાકે, ડો.શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્ષ સંકુલ ખાતે વરિષ્ઠ અને નામાંકિત ચિત્રકાર વૃંદાવન સોલંકીના હસ્તે કરવામાં આવશે. તા. 6ના સાંજે 6.30થી 8, તા.7 અને 8ના સવારે 10 થી 12 અને બપોરે 4 થી 8 કલાક સુધી ચિત્ર પ્રદર્શન વિનામૂલ્યે ખુલ્લુ રહેશે. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોતમ રૂપાલા, રામભાઈ મોકરીયા, ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા અને મનપાનાં મેયર સહિતના પદાધિકારીઓ ખાસ હાજર રહેશે. ફાયર વિભાગની દ્વારા શ્વાન, કબૂતર અને બકરાનું સફળ રેસ્ક્યુ કરાયું રાજકોટ શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી ફાયર વિભાગ દ્વારા શ્વાન, કબૂતર અને બકરાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જેમાં સવારે 11 કલાકે રેસકોર્સ પાસે પોલીસ હેડ ક્વાર્ટર પાસેના કૂવામાંથી એક શ્વાનને બહાર કાઢવામાં આવ્યું હતું. કનક રોડ ફાયર સ્ટેશનની ટીમે આ કામગીરી કરી હતી. જ્યારે સંતકબીર રોડ પરના કોમ્પલેક્ષમાં ત્રીજા માળે ગેલેરીમાં ફસાયેલું એક કબૂતરને પણ ફાયર ટીમે બહાર કાઢી બચાવી લીધું હતું. એટલું જ નહીં વાવડી ગામમાં ગઇકાલે ભૂગર્ભમાં ફસાયેલા બકરાને મવડી ફાયર સ્ટેશનની ટીમે બચાવી નવજીવન આપ્યું હતું. રાજકોટ ડિવિઝનના ભાટીયા, રફાળેશ્વર, ઓખામઢી સ્ટેશનો ઉપર પાંચ ટ્રેનોનાં સ્ટોપેજ પુન: શરૂ પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ ડિવિઝનના ભાટીયા, રફાળેશ્વર અને ઓખામઢી સ્ટેશનો પર 5 ટ્રેનોના સ્ટોપેજને 8 સપ્ટેમ્બર, 2025 થી ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગત નીચે મુજબ છે 1) ટ્રેન નંબર 19566 દેહરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસનો ભાટીયા સ્ટેશન પર સ્ટોપેજ: ટ્રેન નંબર 19566 દેહરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસનો 8 સપ્ટેમ્બર, 2025 થી ભાટીયા સ્ટેશન પર 10.45 વાગ્યે આગમન અને 10.47 વાગ્યે પ્રસ્થાનનો સમય રહેશે. 2) ટ્રેન નંબર 79441/79442 મોરબી-વાંકાનેર-મોરબી ડેમુનો રફાળેશ્વર સ્ટેશન પર સ્ટોપેજ: ટ્રેન નંબર 79441 વાંકાનેર-મોરબી ડેમુનો 8 સપ્ટેમ્બર, 2025 થી રફાળેશ્વર સ્ટેશન પર 07.22 વાગ્યે આગમન અને 07.23 વાગ્યે પ્રસ્થાનનો સમય રહેશે. તેવી જ રીતે ટ્રેન નંબર 79442 મોરબી-વાંકાનેર ડેમુનો 8 સપ્ટેમ્બર, 2025 થી રફાળેશ્વર સ્ટેશન પર 08.06 વાગ્યે આગમન અને 08.07 વાગ્યે પ્રસ્થાનનો સમય રહેશે. 3) ટ્રેન નંબર 19209/19210 ભાવનગર-ઓખા એક્સપ્રેસનો ઓખામઢી સ્ટેશન પર સ્ટોપેજ: ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસનો 9 સપ્ટેમ્બર, 2025 થી ઓખામઢી સ્ટેશન પર 08.29 વાગ્યે આગમન અને 08.30 વાગ્યે પ્રસ્થાનનો સમય રહેશે. આ ઉપરાંત ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસનો 8 સપ્ટેમ્બર, 2025 થી ઓખામઢી સ્ટેશન પર 16.13 વાગ્યે આગમન અને 16.14 વાગ્યે પ્રસ્થાન સમય રહેશે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 9:52 pm

મીઠાપુર હાઈસ્કૂલના શિક્ષક દેવાયતભાઈ કરંગીયાનું સન્માન:રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી નવાજવામાં આવશે

ગાંધીનગર ખાતે આજે શિક્ષક દિન નિમિત્તે યોજાનાર ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક 2025 સમારોહમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર હાઈસ્કૂલના શિક્ષક દેવાયતભાઈ કરંગીયાને સન્માનિત કરવામાં આવશે. દેવાયતભાઈ છેલ્લા 23 વર્ષથી મીઠાપુર હાઈસ્કૂલમાં સામાજિક વિજ્ઞાનના શિક્ષક તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ વર્ષ 2003થી સ્કાઉટ માસ્ટર અને 2016થી NCC ઓફિસર તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ અનેક વિદ્યાર્થીઓએ રાજ્યપાલના હસ્તે સન્માન પ્રાપ્ત કર્યું છે. તેઓ વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ્ઞાન જ નહીં, પરંતુ રમત-ગમત અને રાષ્ટ્રીય ચેતના જેવા ક્ષેત્રોમાં પણ માર્ગદર્શન આપે છે. શિક્ષક દિન નિમિત્તે યોજાનાર આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી પસંદગી પામેલા શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવશે. દેવાયતભાઈની પસંદગી દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે ગૌરવની વાત છે. તેમણે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષણની સાથે NCC અને સ્કાઉટ-ગાઈડની તાલીમ આપીને રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 9:49 pm

મીઠાપુરમાં ગેસ સિલિન્ડર અને રોકડની ચોરી:રાજસ્થાનના ચાર શખ્સોએ 2.39 લાખનો મુદ્દામાલ લઈને ફરાર, પોલીસ ફરિયાદ નોંધાઈ

મીઠાપુર વિસ્તારમાં ગેસ સિલિન્ડર ડિલિવરીની જવાબદારી સંભાળતા ચાર રાજસ્થાની શખ્સોએ વિશ્વાસઘાત કર્યો છે. આરંભડા વિસ્તારના નરેન્દ્રભાઈ ટાકોદરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપીઓ મુલારામ રત્નારામ રાયકા, ત્રિલોક રત્નારામ રાયકા, મુલારામ રાયકા અને રામસ્વરૂપ રત્નારામ રાયકા છે. તેઓ જોધપુરના વતની છે. ફરિયાદીએ આરોપીઓને દરેક ગેસ સિલિન્ડર ડિલિવરી માટે 18 રૂપિયાનું કમિશન નક્કી કર્યું હતું. આરોપીઓએ 116 ઘરવપરાશના ગેસ સિલિન્ડરની રકમ 1,01,094 રૂપિયા, 41 કોમર્શિયલ ગેસ સિલિન્ડરની રકમ 69,085 રૂપિયા અને અન્ય 41 કોમર્શિયલ બાટલાની રકમ 69,085 રૂપિયા મળી કુલ 2,39,206 રૂપિયાની ચોરી કરી છે. મીઠાપુર પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટના સહકારી સંસ્થાના વિશ્વાસનો ભંગ કરતી ઘટના છે, જેમાં ગ્રાહકોના નાણાં અને સિલિન્ડરની ઉચાપત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 9:47 pm

દ્વારકામાં વામન દ્વાદશીની ઉજવણી:1965માં પાકિસ્તાને જગતમંદિર પર 156 બોમ્બ ફેંક્યા હતા, મંદિરને કોઈ નુકસાન થયું નહીં

દ્વારકાના ઐતિહાસિક જગતમંદિર ખાતે આજે વામન દ્વાદશી ઉજવવામાં આવી. દ્વારકાધીશને વામન અવતાર શૃંગાર કરવામાં આવ્યો. દર વર્ષે આજના દિવસે દ્વારકા ગુંગળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે વિષ્ણુ શાસ્ત્રના પાઠ કરવામાં આવે છે અને બપોરે 12 વાગ્યે વિજય ધ્વજ ફરકાવવામાં આવે છે. આજે વામન જયંતિ નિમિત્તે પણ આ પરંપરા જાળવી રાખવામાં આવી. આજનો દિવસ દ્વારકા મંદિર માટે ખાસ માનવામાં આવે છે. કારણકે 1965ની 7મી સપ્ટેમ્બરે, વામન દ્વાદશીની રાત્રે પાકિસ્તાન દ્વારા મોટો હુમલો કરવામાં આવ્યો હતો. તે સમયે દ્વારકામાં સુરક્ષાની કોઈ વિશેષ વ્યવસ્થા નહોતી. પોલીસ સ્ટેશનમાં માત્ર 25-30 કર્મચારીઓ હતા અને ઓખામાં નૌસેનાની હાજરી પણ નહોતી. રાત્રે 11:55 વાગ્યે પાંચ શક્તિશાળી પાકિસ્તાની યુદ્ધ જહાજો - પીએનએસ ટીપુ સુલતાન, શાહજહાં, બાબર, આલમગીર અને બદરે હુમલો કર્યો. માત્ર 20 મિનિટમાં જગતમંદિરને નિશાન બનાવીને 156 બોમ્બ ફેંકવામાં આવ્યા. આશ્ચર્યજનક રીતે, તમામ બોમ્બ દ્વારકાનગરીની સીમાની બહાર જંગલમાં પડ્યા અને મંદિરને કે શહેરને કોઈ નુકસાન થયું નહીં. સ્થાનિક માન્યતા પ્રમાણે, દ્વારકાધીશે પોતે મંદિર અને શહેરનું રક્ષણ કર્યું. કેટલાક વડીલોએ તે સમયે સુદર્શન ચક્રના દર્શન કર્યાનું કહેવાય છે. આ ઘટનાના બોમ્બના અવશેષો આજે પણ દ્વારકા શારદાપીઠ કોલેજની લાઇબ્રેરીમાં સંગ્રહિત છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 9:41 pm

શૈક્ષણિક સંસ્થાઓમાં વધતી હિંસક ઘટનાઓ:ABVPએ રાજ્યભરમાં પ્રદર્શન કર્યું, CCTV અને સુરક્ષા કર્મીઓની માગ કરી

ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થાઓમાં વધતી હિંસક ઘટનાઓને પગલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે રાજ્યવ્યાપી પ્રદર્શન કર્યું છે. કચ્છમાં વિદ્યાર્થીએ પ્રિન્સિપાલ પર હુમલો કર્યો હતો. જુનાગઢમાં હોસ્ટેલમાં 17 વર્ષના વિદ્યાર્થી પર મારપીટ થઈ હતી. ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ પ્રાધ્યાપકે પરિસરમાં તોડફોડ કરી હતી. ABVP રાજ્યના તમામ જિલ્લા મથકોએ પ્રદર્શન કરી સરકાર પાસે ચાર મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં સુરક્ષા કર્મીઓની નિમણૂકની તપાસ કરવી. સુરક્ષા માટે જવાબદાર વ્યક્તિઓની યાદી વાલીઓને ઉપલબ્ધ કરાવવી. શૈક્ષણિક પરિસરમાં CCTV કેમેરા લગાવવા અને તેનો ફીડ પોલીસ કંટ્રોલ રૂમ સાથે જોડવો. COTPA 2003 મુજબ શૈક્ષણિક સંસ્થાની 300 ફૂટની અંદર તમાકુ વેચાણ પર પ્રતિબંધનો કડક અમલ કરવો. શાળા-કોલેજ છૂટવાના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરવામાં આવી છે. છેલ્લા 77 વર્ષથી વિદ્યાર્થી હિત માટે કાર્યરત અભાવિપે સરકાર પાસે તાત્કાલિક નિર્ણય લઈ શૈક્ષણિક પરિસરોને સુરક્ષિત બનાવવા જરૂરી પગલાં લેવાની માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 9:37 pm

માળિયા હાઈવે પરથી દારૂની હેરાફેરી ઝડપાઈ:સુરજબારી ચેકપોસ્ટ પાસેથી 420 બોટલ દારૂ સાથે રીઢો બુટલેગર પકડાયો

માળિયા કચ્છ હાઈવે પર સુરજબારી ચેકપોસ્ટ પાસેથી પોલીસે મોટી કામગીરી કરી છે. પોલીસે એક સ્કોર્પિયો ગાડીમાંથી વિદેશી દારૂની 420 બોટલો જપ્ત કરી છે. આ કાર્યવાહીમાં પોલીસે કુલ રૂ. 15.58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. મોરબીના એસપી મુકેશ પટેલ અને ડીવાયએસપી પી.એ.ઝાલાની સૂચના મુજબ માળિયા પોલીસે આ કાર્યવાહી કરી હતી. પીઆઇ કે.કે.દરબાર અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે હાઈવે પર વોચ ગોઠવી હતી. કચ્છ તરફથી આવી રહેલી સ્કોર્પિયો ગાડી (GJ-3-ML-4507)ને રોકીને તપાસ કરતાં તેમાંથી દારૂનો જથ્થો મળ્યો હતો. પોલીસે દારૂની વિવિધ બ્રાન્ડની 420 બોટલો (કિંમત રૂ. 5.50 લાખ), મોબાઈલ ફોન અને વાહન સહિત કુલ રૂ. 15.58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં જામનગરના સુંદરડા ગામના દીપકભાઈ ઉર્ફે અટાપટું જમનાદાસ જેઠવાણી (34)ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે જીગ્નેશ ઉર્ફે જીગો વિનોદભાઈ ખીજડા નામનો આરોપી ફરાર થઈ ગયો છે. પકડાયેલો આરોપી દીપક જેઠવાણી પ્રાગપર, પધ્ધરા અને જામનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ત્રણ દારૂના કેસમાં નાસતો ફરતો હતો. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી, ફરાર આરોપીને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 9:21 pm

ટ્રાફિક પોલીસની નિષ્ફળતા, લોકોને હાલાકી:વડોદરામાં વરસાદ બાદ ઠેર-ઠેર ભારે ટ્રાફિક જામ, અટલ બ્રિજ પર એક કિમી લાંબી લાઈનો લાગી, વાહનચાલકો હેરાન-પરેશાન

વડોદરા શહેરમાં આજે સાંજે પડેલા ભારે વરસાદ બાદ શહેરના મુખ્ય માર્ગો પર ઠેર-ઠેર ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિકજામના કારણે વાહનો અટકી પડ્યા અને લાંબા-લાંબા જામ લાગ્યા હતા. અટલ બ્રિજ પર એક કિલોમીટરથી વધુ લાંબો જામ સર્જાયો હતો. નીલામ્બર સર્કલ અને ખોડીયાર નગર જેવા વિસ્તારોમાં ટ્રાફિક જામને કારણે વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા, જેમાં નોકરી-ધંધા પરથી ઘરે જતા લોકો સૌથી વધુ પરેશાન થયા. વડોદરા ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકાની તૈયારીઓ પર સવાલો ઉભા થયા છે, કારણ કે વિભાગ પાસે ટ્રાફિક જામનો કોઈ કાયમી ઉકેલ નથી. મુખ્ય સ્થળો પર જામનો કરુણ દ્રશ્યઆજે સાંજે 5 વાગ્યાથી શરૂ થયેલા વરસાદ શરૂ થયો હતો. અટલ બ્રિજ પર સ્થિતિ સૌથી વધુ ગંભીર થઈ જાય. આ બ્રિજ, જે મનીષા સર્કલથી ગેન્ડા સર્કલને જોડે છે, પર એક કિલોમીટરથી વધુ લાંબો ટ્રાફિક જામ લાગ્યો હતો. વાહનો અટવાઈ ગયા હતા અને બ્રિજ પરથી પસાર થતા મુસાફરોને ઘરે પહોંચવામાં વિલંબ થયો હતો. સ્થાનિક વાસીઓના જણાવ્યા પ્રમાણે, આ બ્રિજ પર છાશવારે જામ થઈ જાય છે. વરસાદી વખતે ટ્રાફિક જામને રોકવા માટે કોઈ કાયમી ઉકેલ નથીનીલામ્બર સર્કલ પાસે પણ પરિસ્થિતિ બગડી હતી અને એક એમ્બ્યુલન્સ ટ્રાફિક જમવા ફસાઈ ગઈ હતી. જેથી એમ્બ્યુલન્સને રોંગ સાઈડ જવાની ફરજ પડી હતી. જેને કારણે વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા હતા. આ ઉપરાંત ખોડીયાર નગર અને અક્ષર ચોક સહિતના વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. વડોદરા ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકા પર નાગરિકોની નારાજગી વધી છે. વિભાગ પાસે વરસાદી વખતે ટ્રાફિક જામને રોકવા માટે કોઈ કાયમી ઉકેલ નથી, જેના કારણે દર વખતે આ જ સમસ્યા પુનરાવર્તિત થાય છે. જો કાયમી ઉકેલ નહીં કાઢવામાં આવે તો ભવિષ્યમાં ટ્રાફિકની વધુ ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 9:17 pm

મોરબીમાં મેઘરાજાની એન્ટ્રી:પાંચ તાલુકામાં એક કલાકમાં અડધાથી દોઢ ઈંચ વરસાદ, બફારામાંથી રાહત

મોરબી જિલ્લામાં બે દિવસના અસહ્ય બફારા બાદ આજે સાંજે સાત વાગ્યે વાતાવરણમાં પલટો આવ્યો. વીજળીના કડાકા-ભડાકા સાથે જિલ્લાના પાંચેય તાલુકામાં વરસાદ શરૂ થયો. જિલ્લા કંટ્રોલ રૂમના આંકડા મુજબ, મોરબી અને માળિયા તાલુકામાં એક કલાકમાં દોઢ ઈંચથી વધુ વરસાદ નોંધાયો. હળવદ તાલુકામાં સવા ઈંચ વરસાદ પડ્યો. ટંકારા તાલુકામાં એક ઈંચ અને વાંકાનેર તાલુકામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો. ચાલુ ચોમાસામાં વરસાદ થયો હોવા છતાં લોકોને ગરમી અને બફારાથી રાહત મળી ન હતી. આ વરસાદથી લોકોને બફારામાંથી મુક્તિ મળી છે. ખેડૂતો અને સ્થાનિકો હજુ પણ મેઘરાજા મન મૂકીને વરસે તેવી આશા રાખી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 9:15 pm

લીંબડીના ઉઘલમાંથી ગાંજાના 140 છોડ સાથે ખેડૂત ઝડપાયો:સુરેન્દ્રનગર SOGની ટીમે ગાંજાનું વાવેતર ઝડપી, ₹1.84 લાખનો મુદ્દમાલ જપ્ત કર્યો

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે NDPS એક્ટ હેઠળ મોટી કાર્યવાહી કરી છે. પોલીસે લીંબડી તાલુકાના ઉઘલ ગામમાંથી ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરતા એક ખેડૂતને ઝડપી પાડ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ (IPS)ની સૂચના મુજબ, SOG PI બી.એચ.શીંગરખીયાને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી. પોલીસે ઉઘલ ગામના લાભુભાઇ નારૂભાઇ છલુરા (ઉંમર 54)ની ધરપકડ કરી છે. આરોપી પોતાની વાડીમાં પાસ-પરમીટ વગર લીલા ગાંજાના 140 છોડનું વાવેતર કરી રહ્યો હતો. જપ્ત કરાયેલા ગાંજાના છોડનું વજન 18 કિલો 400 ગ્રામ છે. આ મુદ્દામાલની કિંમત ₹1,84,000 આંકવામાં આવી છે. આરોપી વિરુદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં PI બી.એચ.શીંગરખીયાના નેતૃત્વમાં PSI એન.એ.રાયમા, PSI આર.જે.ગોહીલ સહિત SOGની ટીમના અન્ય સભ્યો જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 9:14 pm

'સુધારાયેલા GSTથી ફાયદા જ ફાયદા':સીઆર પાટીલે કહ્યું- નાના દુકાનદારો-વેપારીઓને ફાયદા થયા છે, સુરત એરપોર્ટ પર ઉડાન યાત્રિક કેફે સ્થપાશે

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા આજે સુધારાયેલા GSTથી ભારતના નાગરિકો તથા નાના દુકાનદારો, મીડિયમ સ્મોલ એન્ટરપ્રાઇઝ અને નિકાસકર્તાઓને જ ફાયદા થયા છે તેની વિગતવાર માહિતી આપી હતી. વિવિધ ક્ષેત્રો પર પડનારી અસર વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, સસ્તા મશીનો તથા બાયોપેસ્ટીસાઇડથી ખેડૂતોને લાભ થશે, ખાતરના દરો સુધારવાથી સ્થાનિક ઉત્પાદન વધશે, માનવ નિર્મિત ફાઇબર પર યોગ્ય દરથી નિકાસ વધશે, હસ્તકલામાં ઓછા દરોથી કારીગરોની આવક વધારો થશે. ટેક્સ દર ઘટાડવાથી માલ સસ્તા થશે અને માગ વધશેદવાઓ અને સાધનો પણ ઓછા દરથી આરોગ્ય સુવિધા સસ્તી બનશે, હેલ્થ જીવન વીમા પોલિસી પર ટેક્સ સંપૂર્ણ નાબૂદ કરવામાં આવ્યો તેથી સર્વ માટે વીમા મિશનને બળ મળશે. કન્ઝ્યુમર ગુડ્સ પર 12% ને બદલે 5% દરથી અંતિમ ગ્રાહકોને ફાયદો થશે. બટર, ઘી, ડ્રાયનટ્સ, કન્ડેન્સ્ડ મિલ્ક, સોસ, જામ, ફ્રૂટ જેલી, દૂધવાળા પીણા પર 18% અને 5% ટેક્સ લાગશે જેનો સીધો ફાયદો નાગરિકોને થશે. ટેક્સ દર ઘટાડવાથી માલ સસ્તા થશે, માંગ વધશે, આવકમાં વધારો થશે. જીએસટીના ચાર સ્લેબ દૂર કરી બે સ્લેબ જ રાખવામાં આવ્યા2017માં જ્યારે જીએસટી લાગુ કરાયો ત્યાં સુધી દરેક રાજ્યમાં અલગ અલગ કર સિસ્ટમ હતી અને તેના પરિણામે ઘણી મુશ્કેલીઓ પડતી હતી જે દૂર થઈ અને એક રાષ્ટ્ર એક કર કરવામાં આવ્યું. 2017થી જીએસટીના જે ચાર સ્લેબ હતા એને દૂર કરી હવે માત્ર 5% અને 18% એ બે સ્લેબ જ રાખવામાં આવ્યા. નવા GST દરનો 22 સપ્ટેમ્બરથી શરૂ થશેપ્રધાનમંત્રી દ્વારા 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી કહેવાયું હતું કે, આ વખતે દેશના નાગરિકોને તેઓ દિવાળીની ભેટ આપશે તે અંતર્ગત જીએસટીના દરોમાં ફેરફાર કરાયા અને જેનો અમલ 22 સપ્ટેમ્બરથી શરૂ થશે. એક સર્વે મુજબ MSME સહિત 85 ટકા લોકોએ જીએસટીના આ દરોથી સંતોષ વ્યક્ત કર્યો છે. આનાથી ટેક્સની રચના સરળ બની, ઉદ્યોગો સ્પર્ધાત્મક બન્યા અને સમગ્ર દેશમાં એકસરખા દર લાગુ થયા. 2017માં 66.5 લાખ રજીસ્ટર કરતા હતા તે 2025માં વધીને 1.51 કરોડ થયા. ઓટો સ્ટેન્ડના વિકાસ કામો સપ્ટેમ્બર 2025માં હાથ ધરવામાં આવશેસુરત શહેરના એરપોર્ટ માટેની માહિતી આપતા થયેલા ફાયદા વિશે જાણકારી આપી હતી અને તેમણે કહ્યું કે ટર્મિનલ બિલ્ડિંગનું પૂન વિન્યાસ કાર્ય પણ પૂર્ણ થયું છે. સુરત વિમાન મથકે ઉડાન યાત્રિક કેફે સ્થાપવાની રજૂઆત વિચારધીન છે જે અંતર્ગત ચા, કોફી, પાણીની બોટલ વગેરે જેવી મૂળભૂત વસ્તુઓ ઓછા અને પરવડે તેવા ભાવમાં ઉપલબ્ધ થશે. ઓટો સ્ટેન્ડના વિકાસ કામો સપ્ટેમ્બર 2025માં હાથ ધરવામાં આવશે. 6,000 જેટલા સફાઈ કર્મચારીઓનું 17 સપ્ટેમ્બર સન્માન કરાશેસુરત શહેર વિશે વાત કરવા તેમણે જણાવ્યું કે જે છે ગંદા શહેરોમાં ગણાતું હતું તે સ્વચ્છતામાં આ વખતે સમગ્ર ભારતમાં પ્રથમ નંબરે આવ્યું છે અને આનો શ્રેય તેમણે સુરત શહેરના 6,000 જેટલા સફાઈ કર્મચારીઓને આપ્યો હતો. તેમનું સન્માન 17 સપ્ટેમ્બર પ્રધાનમંત્રીના જન્મદિવસે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કરવામાં આવશે. વિશેષમાં તેમણે જણાવ્યું હતું કે માત્ર સન્માન જ નહીં પણ આ કર્મચારીઓ માટે સસ્તા બનાવી મોટું ફંડ ઊભું કરી શિક્ષણ અને રહેણાક તથા વાહનો માટે સસ્તા દરે લોન ઉપલબ્ધ કરાશે. 400 કલાકારો સાથે મલ્ટીમીડિયા શો કરવામાં આવશે ગુજરાત રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમના ઉદબોદનમાં જણાવ્યું હતું કે નમોત્સવ અંતર્ગત 7 સપ્ટેમ્બરના રોજ મોદીજીના બાળપણથી લઈને પ્રધાનમંત્રી અને વિશ્વ નેતા સુધીની સફરનો ભારત ભરમાં પ્રથમ વખત સુરત મહાનગર, સરસાણા ખાતે 400થી વધારે કલાકારો સાથે મલ્ટીમીડિયા શો કરવામાં આવશે. આનું આયોજન લેબગ્રોન ડાયમંડ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે અને પછી આ શો સમગ્ર રાજ્યમાં પણ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 8:57 pm

વાવાઝોડા અને પૂરની પરિસ્થિતિ અંગેની મોકડ્રીલ યોજાઇ:ઘોઘા તાલુકાના કુડા ગામ લોકોને આગોતરી ચેતવણી, સ્થળાંતર, શોધ અને બચાવ જેવી કામગીરીનું પ્રદર્શન કરાયું

કલેકટર કચેરીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અને NDRF ટીમ દ્વારા કવાયત હાથ ધરાઇ. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કુડા ગામે વાવાઝોડાના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ તે અંતર્ગત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલ કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અને NDRFની ટીમના સંયુક્ત ઉપક્રમે કવાયત હાથ ધરવામાં આવી હતી. મોકડ્રીલમાં ગામ લોકોને આગોતરી ચેતવણી, સ્થળાંતર, શોધ અને બચાવ જેવી કામગીરીનું પ્રદર્શન મોકડ્રીલ દરમિયાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મોકડ્રીલ બાદ કુડા ગામ પાસે આવેલા કોઝ-વેની પણ મુલાકાત કરવામાં આવી હતી. આ તકે ડીપીઓ ડિઝાસ્ટર ડીમ્પલ તેરૈયા, NDRF ઇન્સ્પેક્ટર બાબુલાલ યાદવ, મામલતદાર ઓફિસ ઘોઘાના પૂર નાયબ મામલતદાર અને ગામના સરપંચ અને તલાટી મંત્રી ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 8:56 pm

મોરબીમાં યુવક પર હુમલો:કાર હપ્તાના વિવાદમાં અપહરણ કરી માર મારવા છતાં પોલીસ ફરિયાદ લેતી ન હોવાના આક્ષેપ

મોરબીમાં કાર હપ્તાના વિવાદમાં એક યુવક પર થયેલા હુમલાનો કિસ્સો સામે આવ્યો છે. અમી એપાર્ટમેન્ટ પાસે રહેતા પાર્થ બોપલિયા (19) નામના યુવકે તેના મિત્ર પાસેથી કાર લીધી હતી. બગથળા પાસે કેટલાક અજાણ્યા શખ્સો કાર લઈ જવાની વાત કરીને આવ્યા હતા. યુવકે કારના માલિકને જાણ કરતા, તેણે કાર આપી દેવાનું કહ્યું હતું. બે દિવસ બાદ કારના માલિકે યુવકને ફોન કરી ત્રણ લાખ રૂપિયાની માંગણી કરી હતી. યુવક પૈસા ન આપી શકતા શક્તિ બોરીચા સહિત પાંચ શખ્સોએ તેનું અપહરણ કરી માર માર્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ત્રણ દિવસથી યુવક પોલીસ ફરિયાદ નોંધાવવા પ્રયત્ન કરી રહ્યો છે, પરંતુ એ ડિવિઝન પોલીસ તેની ફરિયાદ લેતી ન હોવાના આક્ષેપ છે. વધુમાં, પોલીસ સ્ટેશનમાં અધિકારીની હાજરીમાં જ આરોપીઓએ યુવકને ધમકી આપી હતી. આ મુદ્દે મોરબી પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજભાઈ પનારાએ પીડિત યુવક અને તેના પિતા સાથે પત્રકાર પરિષદ યોજી હતી. આ પહેલા પણ મોરબી શહેર અને જિલ્લામાં લોકોને ફસાવીને પૈસા પડાવવાના કિસ્સાઓ સામે આવ્યા છે. આ ઘટના પોલીસતંત્રની કાર્યપ્રણાલી પર ગંભીર સવાલો ઉભા કરે છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 8:54 pm

હાઈકોર્ટ પિટિશન મુદ્દે GPGOWAની સ્પષ્ટતા:સંસ્થા પક્ષકાર નથી, PG સંબંધિત નિયમોના પ્રશ્નોના ઉકેલ વાતચીતથી લાવી શકાય એવું પ્રાધાન્ય રાખશે

તાજેતરમાં કેટલાક પેઇંગ ગેસ્ટ (PG) સંચાલકો દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)ને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થઈ હોવાના અહેવાલો સામે ગુજરાત PG ઓનર્સ વેલફેર એસોસિયેશન (GPGOWA)એ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. એસોસિયેશને જણાવ્યું છે કે, આ અરજીમાં સંસ્થા કોઈ રીતે જોડાયેલી નથી અને આ કાનૂની કાર્યવાહી કેટલાક PG સંચાલકોની વ્યક્તિગત સ્તરે થયેલી હતી. GPGOWAએ ભારપૂર્વક જણાવ્યું કે તેઓ કોર્ટની સત્તાને પૂર્ણ આદર આપે છે અને સમસ્યાઓના ઉકેલ માટે ટકરાવ કરતા સંવાદ અને સહકારને જ પ્રાથમિકતા આપે છે. તાજેતરના મીડિયા અહેવાલો મુજબ અમુક પેઇંગ ગેસ્ટ (PG) સંચાલકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા PG વ્યવસાય માટે બહાર પાડવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)ને પડકારતી અરજી માનનીય ગુજરાત ઉચ્ચ ન્યાયાલયમાં દાખલ કરી છે. આ સંદર્ભમાં ગુજરાત PG ઓનર્સ વેલફેર એસોસિયેશન (GPGOWA) તરફથી નીચે મુજબનું નિવેદન જાહેર કરવામાં આવે છે. ગુજરાત PG ઓનર્સ વેલફેર એસોસિયેશનની કોઈ ઔપચારિક ભૂમિકા નથીGPGOWAએ સ્પષ્ટ કરવું છે કે, ઉપરોક્ત અરજીમાં સંસ્થા પક્ષકાર તરીકે જોડાયેલી નહોતી. આ કાનૂની કાર્યવાહી કેટલાક PG સંચાલકો દ્વારા વ્યક્તિગત સ્તરે થયેલી હતી અને તેમાં GPGOWAની કોઈ ઔપચારિક ભૂમિકા નહોતી. અમે દરેક વ્યક્તિને કાયદાકીય માર્ગે ન્યાય મેળવવાના અધિકારનો માન આપીએ છીએ પરંતુ, સંસ્થાએ આ મુદ્દે કોર્ટ કાર્યવાહીમાં ભાગ લીધો નથી અને સમસ્યાના ઉકેલ માટે કોર્ટના દ્વાર ખટકાવતા પેહલા રચનાત્મક સંવાદ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ભવિષ્યમાં પણ કરતા રહીશું અમે કોર્ટના આદેશ અને સૂચનનું પૂરેપૂરુ પાલન કરીએ છીએસંસ્થા ન્યાયપાલિકાનો સર્વોચ્ચ આદર કરે છે અને ચાલી રહેલી કાનૂની કાર્યવાહી અથવા માનનીય અદાલતની કોઈ પણ ટીપ્પણી પર અત્યંત સંયમ રાખશે. GPGOWAને ગુજરાત ઉચ્ચ ન્યાયાલયની સત્તા અને સમગ્ર ન્યાયતંત્રી પ્રક્રિયા પર સંપૂર્ણ વિશ્વાસ છે. અમે માનનીય અદાલતના દરેક આદેશ અને સૂચનનું પૂરેપૂરું પાલન કરતા આવ્યા છીએ અને કરતાં રહીશું. GPGOWA ગુજરાત સરકાર અથવા AMC પર કોઈ દોષારોપણ કરતું નથીઆ મામલે GPGOWA ગુજરાત સરકાર અથવા AMC પર કોઈ દોષારોપણ કરતું નથી. વિપરીત રીતે સંસ્થા તમામ સંબંધિત પક્ષો સાથે સહકારપૂર્વક કાર્ય કરવા પ્રતિબદ્ધ છે. AMC તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથે પેઇંગ ગેસ્ટ (PG)વ્યવસાય સંબંધી નિયમોમાંના પ્રશ્નોના ઉકેલ માટે GPGOWA પેહલેથી જ રચનાત્મક સંવાદ ચલાવી રહી છે. GPGOWA ગુજરાત રાજ્યમાં અનેક નાના તથા કુટુંબ આધારિત PG સંચાલકોનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિદ્યાર્થીઓ અને નોકરી કરતા ભાઈઓ અને બહેનોને પરવડે એવી રહેવાની સગવડ આપતા હોય છે. અમારા સભ્યો કાયદાનું કડક પાલન કરીને તેમની PG સુવિધાઓ ચલાવવા અને સુરક્ષા તેમજ ગુણવત્તાના ઉચ્ચ માનકો જાળવવા માટે સમર્પિત છે. આ સંસ્થા એવા દરેક કાનૂની, વ્યાજબી અને પ્રેક્ટિકલ હોય અને માનવતાના ધોરણે નિયમોને સંપૂર્ણ સમર્થન આપે છે, જે PG ચલાવતા PG માલિકો અને PGમાં રહેતા છોકરાઓ અને છોકરીઓના કલ્યાણ માટે અને તમામ સંચાલકો ન્યાયસંગત તક સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવે છે. જ્યારે કોઈપણ નિયમોને લઈને ચર્ચા થશે ત્યારે પ્રથમ વાટાઘાટોથી આગળ વધશે અને જ્યારે જરૂર જણાશે ત્યારે ન્યાયપાલિકાના દ્વાર ખટકાવવામાં આવશે.એક પ્રોએક્ટિવ સંસ્થા તરીકે GPGOWAએ પહેલ જ સંબંધિત સત્તાવાળા તંત્ર સાથે નીતિ-સ્તરે ઉપાયો શોધવા માટે સંવાદ શરૂ કર્યો છે અને આ સંવાદ સતત આગળ વધશે એવો અમારો દૃઢ વિશ્વાસ છે કે ટકરાવની જગ્યાએ સહકાર દ્વારા સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવે તે શ્રેષ્ઠ માર્ગ છે. જેમાં સરકાર, અધિકારીઓ, ન્યાયપાલિકા નો સમય બચશે અને સામાન્ય જનતા ના પૈસા નો પણ વ્યય નહીં થાય. અમારી પ્રાથમિકતા એ છે કે PG રહેઠાણ માટેનું કોઈપણ નિયમનાત્મક માળખું સલામત, ન્યાયસંગત અને ટકાઉ હોવું જોઈએ જેથી રહેવાસીઓ, પડોશી સમુદાય, અને સંચાલકોના હિતો વચ્ચે સંતુલન જળવાય રહે અને તેમની રક્ષા થાય. આ અંતે સંસ્થા કાનૂનનું પાલન અને એકતા તથા સહકાર પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાને પુનઃદૃઢ કરે છે. GPGOWA PG ક્ષેત્રમાં સુધારાઓ માટે સત્તાવાર તંત્ર માટે સત્તાવાર તંત્ર અને તમામ હિતધારકોના પ્રયત્નોની પ્રશંસા કરે છે. અમો સૌના હિત માટે ગુજરાતમાં PG રહેઠાણના સલામત, કાયદેસર અને સુમેળભર્યા સંચાલનને હકીકત બનાવવા સંકલ્પબદ્ધ છીએ અને તમામ સંબંધિત પક્ષો સાથે મળીને કાર્ય કરી રહ્યા છે અને કરતા રહીશું.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 8:44 pm

સાયલેન્ટ કિલરને ઝડપી પાડનાર પોલીસ ટીમે ઇનામ અપાશે:નર બલી ચઢાવવા માટે 12 લોકોની હત્યારાને ઝડપી કેસ સોલ્વ કરવા બદલ ડીસીપી સહિત ટીમને ગૃહમંત્રી ઇનામ આપશે

12 લોકોની ઠંડા કલેજે હત્યા કરનાર સાયલેન્ટ કિલરને ઝડપી લેનાર પોલીસને 4.15 લાખનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. સરખેજ પોલીસ સ્ટેશનના તત્કાલીન ઇન્સ્પેકટર ધુળિયાને 1 લાખ અને LCB પીઆઇ જાડેજાના 75 હજાર તથા ફોજદાર શર્માને 50 હજારનું રોકડ ઇનામ આપવામાં આવશે.નર બલી ચડાવવા માટે એક બે નહિ, પરંતુ સંખ્યાબંધ લોકોને સોડિયમ નાઇટ્રઈટ દારૂ કે પાણીમાં આપી ઠંડા કલેજે મોતને ઘાટ ઉતારી દેતા ભુવા નવલસિંહ ચાવડાને ઝડપી લેનાર અમદાવાદ ડીસીપી ઝોન-7 શિવમ વર્મા અને તેમની ટીમની કામગીરીની નોંધ લઇ ગૃહ વિભાગ દ્વારા સમગ્ર ટીમને રૂપિયા 4.15 લાખના રોકડ ઇનામ ઉપરાંત પ્રશસ્તિ પત્ર એનાયત કરવાની જાહેરાત કરી છે. ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ ટીમને સન્માનિત કરવામાં આવશે. જેમાં ડીસીપી શિવમ વર્માને પ્રસસ્તિ પત્રક, સરખેજના તત્કાલિન ઇન્સ્પેકટર આર.કે ધુળિયાને 1 લાખનું ઇનામ આપવામાં આવશે. આ ઉપરાંત ઝોન-7 એલસીબી પીઆઇ(કામગીરી વખતે પીએસઆઇ)વાય.પી.જાડેજાને 75 હજાર, સરખેજ પીએસઆઇ વિજય શર્માને 50 હજાર,એએસઆઇ બહાદુરસિંહ દિપસિંહને 50 હજાર, પો.કો. મયુરસિંહને 20 હજાર, પીએસાઇ હિરલભાઇને 50 હજાર, કોન્સ્ટેબલ જયરાજદાનને 50 હજાર, કોન્સ્ટેબલ ઇરફાનને 10 હજાર અને શિવસિંગનને 10 હજારનું રોકડ ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 8:40 pm

નર્મદા નદીમાં 4.45 લાખ ક્યુસેક પાણી છોડાશે:સરદાર સરોવર બંધના 23 દરવાજા ખોલાશે, ભરૂચ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા સૂચના

સરદાર સરોવર બંધના ઉપરવાસમાં ભારે વરસાદ અને ઓમકારેશ્વર બંધમાંથી વધારાનું પાણી છોડાતા બંધની સપાટીમાં વધારો નોંધાયો છે. આજે સાંજે સરદાર સરોવર બંધના 23 દરવાજા 2.50 મીટર સુધી ખોલવામાં આવશે. બંધના નીચલા વિસ્તારમાં આશરે 4 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે. નદી તળ વિદ્યુત મથક (R.B.P.H)ના 6 મશીનમાંથી 45 હજાર ક્યુસેક પાણી છોડાશે. આમ કુલ 4 લાખ 45 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહેશે. ભરૂચ સહિત નદીકાંઠાના વિસ્તારોમાં જળસ્તર વધવાની શક્યતા છે. જિલ્લા વહીવટીતંત્રે લોકોને સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે. તંત્રે નાગરિકોને ખોટી અફવાઓથી દૂર રહેવા પણ અપીલ કરી છે. વહીવટીતંત્ર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 8:39 pm

કાનૂની શિક્ષણમાં મોટી સફળતા:બાર કાઉન્સિલ અને ગ્રાન્ટ-ઇન-એડ લૉ કોલેજો વચ્ચેનો બે વર્ષનો વિવાદ સમાપ્ત

ગુજરાતમાં કાનૂની શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ વિકાસ થયો છે. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને ગ્રાન્ટ-ઇન-એડ લૉ કોલેજો વચ્ચે છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા વિવાદનો સરકાર દ્વારા સફળતાપૂર્વક અંત લાવવામાં આવ્યો છે. આ સફળતાની ઉજવણીના ભાગરૂપે, વલસાડની શાહ કે.એમ. લૉ કૉલેજમાં એફવાય એલએલબીના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન બી.જી. પોપટ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કોલેજના આચાર્ય નિકેતાબેન રાવલ અને પ્રોફેસર સલકેશભાઈ કોરીએ પણ હાજરી આપી હતી. આ સમાધાન કાનૂની શિક્ષણ ક્ષેત્રે એક નવા યુગની શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 8:38 pm

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રશ્ને શિક્ષણમંત્રીને રજૂઆત:PG સેન્ટર ન ચાલતું હોય તેવા કોલેજના ગાઇડની ગાઈડશીપ રદથી PhDની સીટો ઘટી: ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ દ્વારા પી.જી.સેન્ટર ન હોય તેવા કોલેજ ગાઈડને પીએચ.ડી.ના નવા વિદ્યાર્થીઓ ફાળવવાનું બંધ કરી ગાઈડશિપ રદ કરવાનો નિર્ણય કરવામાં આવતા પીએચ.ડી. ની સીટ 400થી ઘટી 100 થઈ જતા વિરોધ વકર્યો છે. આ મામલે અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અધ્યાપક મંડળ દ્વારા કુલપતિને રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી નિર્ણય ન થતા હવે ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ પ્રશ્ને રાજ્યના શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત દિવાળી અને ઉનાળુ વેકેશન પહેલા પરીક્ષા લેવા માટેની પણ માંગણી કરવામાં આવી છે. શૈક્ષણિક સંસ્થાઓમાં સંશોધન ક્ષેત્રે વિકાસ થાય તે માટે ભાર મૂકવામાં આવ્યોગુજરાત રાજ્ય અધ્યાપક મંડળ દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની અમલવારી સમગ્ર દેશમાં ગુજરાતમાં આવેલી તમામ યુનિવર્સિટીમાં થઈ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં મુખ્યત્વે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સંશોધન ક્ષેત્રે વિકાસ થાય તે માટે ભાર મૂકવામાં આવ્યો છે, પરંતુ તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે જોતા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સંપૂર્ણપણે સફળ થશે કે કેમ તે અંગે પ્રશ્નાર્થ ઉભો થયો છે. અમને મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એફિલેટેડ કોલેજોમાં અધ્યાપક સહાયકોને અનુસ્નાતક શિક્ષક તરીકેની માન્યતા લાંબા સમયથી માંગણી હોવા છતાં આપવામાં આવી રહી નથી. શિક્ષણ નિતિના સફળ અમલ માટે સમસ્યાનું નિરાકરણ લાવવું જરૂરીઆ યુનિવર્સિટીમાં અન્ય એક ગંભીર બાબત ધ્યાનમા આવી છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એફીલેટેડ કોલેજોના જે અધ્યાપકો પીએચ.ડી. ગાઈડશીપની માન્યતા ધરાવે છે તે અધ્યાપકોને પીએચ.ડી. કરવા માટે વિદ્યાર્થીઓને ફાળવવામાં આવી રહ્યા નથી. જો આ પ્રમાણે વિદ્યાર્થીઓને ફાળવવામાં નહીં આવે તો આ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં વિદ્યાર્થીઓનો સંશોધન ક્ષેત્રે વિકાસ રુંધાઈ જશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સફળ અમલ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તથા સાથે સાથે રાજ્યના તમામ અધ્યાપકો, શિક્ષણવિદો ઉત્સાહથી કાર્ય કરી રહ્યા છે, ત્યારે સંશોધન ક્ષેત્રે સંલગ્ન કોલેજોના અધ્યાપકોને જ લાંબા સમયથી દૂર રાખ્યા છે તે ખૂબ જ ગંભીર બાબત છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો જો સફળ અમલ કરવો હોય તો આ સમસ્યાનું ચોક્કસ નિરાકરણ લાવવું જ જોઈએ. વેકેશન પહેલાં પરીક્ષાનું આયોજન કરવામાં આવે તેવી રજૂઆત કરાઈરાજ્યની અન્ય યુનિવર્સિટીઓમાં ઉપરોક્ત બાબતે કોઈ સમસ્યાઓ કે વિવાદ થયો નથી ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શા માટે આ પ્રકારની કાર્યવાહી કરીને પીએચ.ડી.ની માન્યતા પ્રાપ્ત સંલગ્ન કોલેજોના અધ્યાપકોને પીએચ.ડી. કરવા માટે વિદ્યાર્થીઓ ફાળવવામાં આવતા નથી? આ રીતે વિધાર્થીઓ ન ફાળવીને યુનિવર્સીટીના સત્તાધિશો શું સંલગ્ન કોલેજોના અધ્યાપકોની પીએચ.ડી. ગાઈડ તરીકેની માન્યતાને રદ્દ કરવા માગે છે? આ જાણીને ચોક્કસથી આશ્ચર્ય થાય છે. ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળના ઘટક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તાર અધ્યાપક મંડળની આ રજૂઆત સાથે અન્ય પ્રશ્નો જેવા કે દિવાળી વેકેશન અને ઉનાળું વેકેશન સરકાર દ્વારા જાહેર કરેલ એકેડેમિક કેલેન્ડર મુજબ હોવું જોઈએ અને વેકેશન પહેલાં પરીક્ષાનું આયોજન કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. આ સાથે જ એસેસમેન્ટની પ્રક્રિયા યુનિવર્સિટી લેવલે કરવામાં આવે તેવી અમારા ઘટક મંડળ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને બે વખત આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. અમારી ઉપરોક્ત માંગણીને ધ્યાને લઈ ચોક્કસથી કાર્યવાહી કરશો તેવી વિનંતી છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 8:36 pm

ભાવનગર-મહુવા હાઈવે પર અકસ્માત, બેના મોત:દાતરડી ગામ નજીક બોલેરો પીકપ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, બાઈકચાલક બંનેને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા

ભાવનગર-મહુવા નેશનલ હાઈવે પર દાતરડી ગામ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઈક અને બોલેરો પીકઅપ વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બાઈક પર સવાર બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબોએ આ બંને વ્યક્તિઓ, ખીમજીભાઈ કવાડ અને પિયુષભાઈને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 8:31 pm

શનિવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક:રાજકોટનાં ઐતિહાસિક માધવરાવ સિંધિયા સ્ટેડિયમનું નવરાત્રીમાં 15 દિવસનું GST સહિત રૂ. 34.80 લાખનાં પેકેજ સહિતની 22 દરખાસ્ત અંગે નિર્ણય લેવાશે

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આગામી શનિવારે યોજાનાર છે. આજે ચેરમેન જયમીન ઠાકરે એજન્ડા બહાર પાડયો છે. બજેટની યોજનાઓ સમયે સાકાર થાય તેમજ આયોજન મુજબ આવકનો નવો સ્ત્રોત સક્રિય થાય તે માટે બેઠક થોડી વહેલી બોલાવાઇ છે. જેમાં રાજકોટનાં ઐતિહાસિક માધવરાવ સિંધિયા સ્ટેડિયમનું નવરાત્રીમાં 15 દિવસનું GST સહિત રૂ. 34.80 લાખનું પેકેજ તેમજ અન્ય પ્રસંગો માટે દૈનિક ભાડુ રૂ. 5 લાખ અને ક્રિકેટ મેચ માટે રૂ. 5થી 10 હજાર ભાડું વસૂલવા તેમજ પશ્ચિમ ઝોનનાં વિસ્તારોમાં મેટલિંગ કરવા સહિતની 22 દરખાસ્ત અંગે નિર્ણય લેવાશે. જેમાં અધિકારીઓની ધારણા કરતા નીચા ભાવ મળ્યા છે. માધવરાવ સ્ટેડિયમ અંગેની દરખાસ્ત મુજબ નવરાત્રીના કાર્યક્રમ માટે અગાઉના 4 દિવસ, નવ દિવસના ગરબા, તે બાદના 2 દિવસના મળીને કુલ 15 દિવસ માટે ગ્રાઉન્ડ ભાડે આપવામાં આવશે. આ માટે ભાડાની અપસેટ રકમ રૂા. 30 લાખ અને સિકયોરીટી ડિપોઝીટ રૂા. પાંચ લાખ નકકી કરાઇ છે. અપસેટ એટલે કે બે પાર્ટીની ઓફર આવે તો વધુ ઓફર કરનાર આયોજકને ગ્રાઉન્ડ ભાડે અપાશે. 30 લાખનું ભાડુ, પાંચ લાખ ડિપોઝીટ, 18 ટકા લેખે 4.80 લાખ જેટલો જીએસટી મળી લેનાર પાર્ટીને આ ગ્રાઉન્ડ રૂા. 35 લાખમાં નવરાત્રી માટે પડે તેમ છે. વીજ ખર્ચ પણ અલગ લેવામાં આવશે. આમ આ ભાડુ રાજકોટના ગરબા આયોજકો માટે ખુબ વધુ રહેશે તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમત-ગમત ટુર્નામેન્ટ યોજવા ઉપરાંત ગ્રાઉન્ડ ખાતેથી આવક વધારવાના હેતુથી લગ્ન પ્રસંગના દાંડીયા રાસ, નવરાત્રી, અન્ય વ્યવસાયિક, ધાર્મિક, સામાજીક, રાજકીય કાર્યક્રમો અને પ્રસંગ, મ્યુઝીકલ નાઇટ સહિતના કોમર્શિયલ હેતુ માટે ગ્રાઉન્ડ ભાડે આપવા અધિકારીઓની કમીટીમાં નિયમો નકકી કરાયા છે. જે મુજબ પ્રથમ વખત આ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવાની મંજૂરી મળશે જેનાથી મેદાનનો દિવસે અને ડે-નાઇટ મેચમાં પણ ટેનિસ ક્રિકેટ ખેલાડીઓ ઉપયોગ કરી શકશે. સિઝન ક્રિકેટ માટે ડે અને ડે-નાઇટ બંને પ્રકારના મેચનું એક દિવસનું ભાડુ રૂા. 10 હજાર, ટેનિસ ક્રિકેટનું પ્રતિ દિન રૂા. 5 હજાર ભાડુ રહેશે. નવરાત્રી સિવાયના અન્ય કોઇપણ પ્રસંગ માટે ગ્રાઉન્ડનું પ્રતિ દિન ભાડુ રૂા. 5 લાખ અને સિકયુરીટી ડિપોઝીટ રૂ. 2 લાખ નકકી કરવામાં આવી છે. ચેરમેન જયમીન ઠાકરે કહ્યું હતું કે, આ મેદાનમાંથી આવક વધે તે માટે આ નવી નીતિ બનાવવામાં આવી છે. દરખાસ્ત મંજૂર થાય એટલે તુરંત મેદાન ભાડે આપવાના ટેન્ડર પણ બહાર પાડવામાં આવશે. અમદાવાદ કોપોૅરેશન દ્વારા પણ ક્રિકેટ મેદાન ઇવેન્ટ માટે ભાડે આપવામાં આવે છે. ત્યાંના ભાડાની નીતિની વિગતોનો અભ્યાસ કરી રાજકોટમાં આ નિર્ણય લેવાયો છે. જે અંગે શનિવારની મીટીંગમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. વેસ્ટ ઝોનમાં રોડ રીસ્ટોરેશનના કામ માટે રૂ. 22.35 કરોડનાં ટેન્ડર સામે રૂ. 17.60 કરોડનાં ભાવ મળ્યા મનપાના વેસ્ટ ઝોન હસ્તકના વોર્ડ નં. 1, 8, 9, 10 અને 12માં અમૃત 2.0 યોજના હેઠળ ડીઆઇ પાઇપલાઇન અને ડ્રેનેજ પાઇપલાઇનના ખુબ કામ થયા છે. નવા ભળેલા વિસ્તારોમાં પાઇપલાઇન અપગ્રેડેશનના કામો પ્રગતિ હેઠળ છે. આ ખોદકામ બાદ રસ્તાના રીસ્ટોરેશન અને મેટલીંગનું કામ કરવાનું થાય છે. જે માટે રૂ. 26.38 કરોડનું એસ્ટીમેટ બહાર પાડવામાં આવ્યું હતું. આ માટે 22.35 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવતા ભવાની કન્સ્ટ્રક્શન કંપનીએ સૌથી ઓછા 21.26 ટકા ઓછા ભાવે કામ કરવા તૈયારી દર્શાવી છે. પવન કન્સ્ટ્રક્શન કંપનીએ 13.05 અને બેકબોન કંપની દ્વારા 12.70 ટકા ઓછા ભાવની ઓફર અપાઇ છે. ભવાની કન્સ્ટ્રક્શન. કંપનીના 20.77 કરોડની ઓફર તથા જીએસટી મળી 18 મહિના માટે રૂ. 31.15 કરોડનું કામ કરાવા દરખાસ્ત મુકવામાં આવી છે. જે વિસ્તારોમાં કામ થવાના છે તેમાં વોર્ડ નં.1માં જલારામ ચોકથી સોપાન હાઇટસ, સંતોષ પાર્ક, શ્રીનાથજી બંગલા વિસ્તાર, નાગેશ્વર વિસ્તાર, વર્ધમાન વિસ્તાર, વોર્ડ નં.8 અને 9ના વિવિધ વિસ્તાર, વોર્ડ નં.10ના ગુંજન પાર્ક, રૈયા રોડ, વોર્ડ નં.11ના સરિતા વિહાર સોસા., મોટા મવા વિસ્તાર, કણકોટ ગામ હાઉસીંગ બોર્ડ, વોર્ડ નં.12માં ડીઆઇ પાઇપલાઇનવાળા વિસ્તાર, પ્રગટેશ્વર મંદિર સામેનો વિસ્તાર, એકઝોટીકા રોડ, આસોપાલવ સોસા., વાવડીના કરણપાર્ક, સપ્તપદી પાર્કના કામોનો સમાવેશ થાય છે. પૂર્વ ઝોનના વોર્ડ નં.4, 5, 6, 15, 16 અને 18માં પાણીની સપ્લાય માટે ડીઆઇ પાઇપલાઇન નેટવર્કના કામો માટે પણ ખર્ચ મંજૂર કરવા દરખાસ્ત સ્ટે.કમીટીમાં રજૂ કરવામાં આવી છે. સીસી રોડવોર્ડ નં.11માં વગડ ચોકથી ટીલાળા ચોક સુધીના રસ્તાને સીસી રોડ બનાવવા જીએસટી સહિત 7.68 કરોડનું એસ્ટીમેટ બનાવવામાં આવ્યું હતું. 19500 ચો.મી.ના કામ માટે રૂ. 6.51 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવતા ચાર કંપની કવોલીફાય થઇ હતી જેમાં યુનિક બિલ્ડરે 12.27 ટકા ડાઉન ભાવ આપતા 5.71 કરોડમાં કામ અને 18 ટકા જીએસટી સહિત રૂ. 6.74 કરોડમાં આ પાર્ટીને કામ આપવા દરખાસ્ત આવી છે. આ સિવાય પટેલ કન્સ્ટ્રક્શન, શ્રીજી દેવકોન અને પવન કન્સ્ટ્રક્શન કંપનીએ પણ ભાવ આપ્યા હતા. માધાપર સ્મશાનવોર્ડ નં.3માં માધાપર ગામના હયાત સ્મશાનને વિદ્યુત સ્મશાન તરીકે વિકસાવવા 3.29 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતુ. આ સ્મશાનને અન્ય જગ્યાની જેમ ઇલેકટ્રીક સ્મશાન બનાવવા નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં સારંગ કન્સ્ટ્રક્શન કંપનીએ 1.51 ટકા ઓછા ભાવની ઓફર કરતા 3.24 કરોડમાં આ કામ અપાશે. તેના પર 58 લાખ જીએસટી લાગુ થશે. આ વિસ્તારને વિદ્યુત સ્મશાનથી મોટી સુવિધા મળશે. ઉલ્લેખનીય છે કે શનિવારે મળનારી સ્ટેન્ડિંગ બેઠકમાં મહાપાલિકાની છ હાઇસ્કુલના વિદ્યાર્થીઓ માટે સ્કુલ ગણવેશ અને બુક ખરીદ કરવાના કામ માટે દ્વિવાર્ષિક કોન્ટ્રાકટ કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ સહિત જુદી-જુદી 22 દરખાસ્તો અંગે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરની અધ્યક્ષતામાં શનિવારે નિર્ણય લેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 8:16 pm

સુરક્ષા માટે સલામતી માટેનું સરકારનું વિઝનરી પગલું:સુરત પોલીસને 22 ‘જનરક્ષક’ અને 30 નવી બોલેરો ગાડીઓ મળી, ગૃહ રાજ્ય મંત્રીએ ફલેગ ઓફ કર્યું

આપાતકાલીન સેવાઓ માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી મુક્તિ, એક માત્ર 112 નંબર ડાયલ કરવાથી પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, મહિલા હેલ્પલાઈન, ચાઈલ્ડ હેલ્પલાઈનની તત્કાલ મદદ મળશે. 'એક નંબર, અનેક સેવાનો' ડાયલ-112નો જનરક્ષક પ્રોજેક્ટ રાજ્યમાં નાગરિક સુરક્ષા માટે સલામતી માટેનું સરકારનું વિઝનરી પગલું છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતેથી ડાયલ-112 જનરક્ષકની 22 બોલેરો ગાડીઓ તથા અન્ય 30 ગાડીઓ મળી ૫ર ગાડીઓને ફલેગ ઓફ આપી પ્રજાની સેવા માટે પ્રસ્થાન કરાવ્યું હતું. સુરક્ષા માટે સલામતી માટેનું સરકારનું વિઝનરી પગલુંરાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય ઘટનાઓ અંગે આધુનિક ટેકનોલોજીની મદદથી ઈમરજન્સીના બનાવોમાં ઘટનાસ્થળ ઉપર નાગરિકોને પોલીસની ત્વરિત મદદ મળી રહે તે માટે રાજય સરકારે નવતર અભિગમ દાખવ્યો છે. જેના ભાગરૂપે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ડાયલ 112 જનરક્ષક પ્રોજેકટ હેઠળ સમગ્ર રાજ્યની પોલીસને ફાળવવામાં આવેલી ગાડીઓ પૈકી સુરત શહેરને 22 ‘જનરક્ષક’ બોલેરો ગાડીઓ તથા 30 નવી બોલેરો ગાડીઓ મળી ૫ર ગાડીઓને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી ફલેગ ઓફ આપી પ્રજાની સેવા માટે પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નાગરિકો કટોકટીના સમયે સહાય માટે 112 ડાયલ કરી શકશેઆ અવસરે ગુહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, 112 જનરક્ષક હેલ્પલાઈન નંબરનો ઉપયોગ નાગરિકો કટોકટીના સમયે તાત્કાલિક સહાય માટે કરી શકશે, જેમાં એક જ નંબર ડાયલ કરીને પોલીસ, મેડિકલ અને ફાયર બ્રિગેડ જેવી સેવાઓ મેળવી શકાશે, આ નવીન પહેલ સુરતના નાગરિકો માટેની સુરક્ષા વ્યવસ્થાને વધુ સશક્ત બનાવશે. અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી મુક્તિ મળીનોંધનીય છે કે, આપાતકાલીન સેવાઓ માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી મુક્તિ મળી છે. રાજ્યના નાગરિકોએ પોલીસ માટે 100, એમ્બ્યુલન્સ માટે 108, ફાયર માટે 101, મહિલા હેલ્પલાઇન અભયમ માટે 181, ચાઇલ્ડ હેલ્પલાઇન માટે 1098 અને ડિઝાસ્ટર હેલ્પલાઇન માટે 1070/1077 એમ અલગ અલગ ઇમર્જન્સી હેલ્પલાઇન નંબર યાદ રાખવા નહીં પડે. આ તમામ ઇમર્જન્સી સેવાના નંબરને બદલે હવે માત્ર એક જ નંબર 112 ડાયલ કરવાનો રહેશે. નાગરિકોને તેમની ઇમર્જન્સી મુજબ ત્વરિત મદદ માટેની જરૂરી ટીમ મોકલવાનું કાર્ય 112 હેલ્પલાઇનથી થશે. તમામ ઇમરજન્સી સેવાઓના સંકલિત નંબર તરીકે 112ના લોન્ચિંગ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 8:11 pm

પોલીસ કમિશનરનું જાહેરનામું:ગણેશ વિસર્જન અને ઇદે મિલાદ દિવસે શહેરના અનેક રસ્તા બંધ રહેશે, જાણો વૈકલ્પિક માર્ગ

અમદાવાદ શહેરમાં આવતીકાલે 5 સપ્ટેમ્બરના રોજ ઈદ-એ-મિલાદ અને 6 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જનને લઈને નીકળનારા જુલુસ તેમજ શોભાયાત્રાના કારણે રોડ-રસ્તા બંધ કરવામાં આવ્યા છે. શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામા બહાર પાડી અને ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. આવતીકાલે પાંચ સપ્ટેમ્બરના રોજ બપોરે 2 વાગ્યે ઈદે મિલાદનું જુલુસ નીકળવાનું હોવાના કારણે શહેરના કોટ વિસ્તારમાં જમાલપુર, લાલ દરવાજા, ખમાસા, ઘીકાંટા, મિરઝાપુર અને દિલ્હી દરવાજા તરફ જવાના તમામ રોડ રસ્તા બંધ રહેશે. AMTS બસોને પણ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ટ્રાફિકના વાહન વ્યવહાર માટે અને બસોની અવરજવર માટે વૈકલ્પિક રોડ પરથી વાહનચાલકો પસાર થઈ શકશે. ટ્રાફિક પોલીસે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા જણાવ્યું6 સપ્ટેમ્બરના રોજ અનંત ચતુર્દશીએ ભગવાન ગણેશનું વિસર્જન કરવામાં આવતું હોય છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાપના કરવામાં આવેલી ગણેશની મૂર્તિઓને શોભાયાત્રા કાઢી રિવરફ્રન્ટ અને અલગ-અલગ જગ્યાઓ પર બનાવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના કુંડમાં વિસર્જિત કરવામાં આવનાર છે. સાબરમતી રિવરફ્રન્ટ પર પૂર્વ અને પશ્ચિમ બંને તરફના રોડ બપોરે એક વાગ્યાથી ભગવાન ગણેશની મૂર્તિઓ વિસર્જિત ન થાય ત્યાં સુધી બંધ રહેશે. ગીતામંદિર એસ.ટી. બસ સ્ટેન્ડથી જમાલપુર બ્રિજ, એસટી ગીતામંદિરથી સારંગપુરથી કાલુપુર તરફ, કાલુપુર રેલવે સ્ટેશનથી સારંગપુર ખમાસા થઈને એલિસબ્રિજ સુધી અવર-જવર બંધ રહેશે. રખિયાલ ચાર રસ્તાથી સરસપુર આઈટીઆઈ ચાર રસ્તા હાઈ ગુરુદ્વારા તરફનો રોડ બંધ રહેશે જ્યારે દિલ્હી દરવાજાની આસપાસના વિસ્તાર પણ વાહન વ્યવહાર માટે બંધ રહેશે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા ટ્રાફિક પોલીસ દ્વારા જણાવાયું છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 8:10 pm

વૃક્ષારોપણ અભિયાન:મોરબીમાં રૂપાલાએ કહ્યું - વૃક્ષ ન વાવનારની અંત્યેષ્ઠિ ટાયરથી કરવી જોઈએ

મોરબીના સનાળા રોડ પર આવેલા માર્કેટ યાર્ડમાં 76મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલાએ વૃક્ષારોપણની અનિવાર્યતા પર ભાર મૂક્યો. રૂપાલાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા એક બેડ મા કે નામ અભિયાનને દેશ-વિદેશમાં સારો પ્રતિસાદ મળ્યો છે. હવે એક બેડ મા કે નામ 2.0 અભિયાન શરૂ થયું છે. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિની અંત્યેષ્ઠિમાં લાકડાની જરૂર પડે છે. તેથી વૃક્ષારોપણ કરવું આવશ્યક છે. કાર્યક્રમમાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા અને કલેક્ટર કે.બી. ઝવેરી સહિતના અધિકારીઓ હાજર રહ્યા. મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો. રૂપાલાએ રામાયણનો પ્રસંગ ટાંકતા કહ્યું કે હનુમાનજીએ લંકામાં તુલસીના છોડ પરથી સજ્જન વ્યક્તિનું ઘર ઓળખ્યું હતું. તેમણે લોકોને ઘરમાં તુલસી ઉછેરવા અને વૃક્ષારોપણ કરવા અપીલ કરી. કોરોના કાળમાં ઓક્સિજન અને વૃક્ષોની મહત્તા સમજાઈ હોવા છતાં લોકો હજુ વૃક્ષારોપણને પૂરતું મહત્વ આપતા નથી. આ અભિયાન હેઠળ માત્ર ભારતમાં જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 7:57 pm

Editor's View: ટ્રમ્પ પર તડાપીટ:ફિનલેન્ડ અને રશિયાના રાષ્ટ્રપતિ ભડક્યા, એક વ્યક્તિ મોદીને મળતાં દુનિયાના કાન ઊંચા થયા

નરેન્દ્ર મોદી SCO સમિટમાં ચીન ગયા ત્યારે એક એવી વ્યક્તિને મળ્યા જેને મળવા ડોનાલ્ડ ટ્રમ્પ તલપાપડ હતા પણ તેનો મેળ પડ્યો નહિ. હવે મોદી એ વ્યકિતને ચીનમાં મળ્યા તો અમેરિકા અને યુરોપના દેશોના કાન ઊંચા થઈ ગયા છે. મોદી એવી તે કઈ વ્યક્તિને મળ્યા, તેના વિશે આગળ જાણીશું પણ પહેલા એ જાણી લઈએ કે હવે ટ્રમ્પ યુરોપના દેશો માટે અળખામણા થવા લાગ્યા છે. બીજી તરફ પોલેન્ડના રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળવા ઓવલ ઓફિસ પહોંચ્યા હતા ત્યાં પોલેન્ડના પત્રકારે ટ્રમ્પની દુ:ખતી રગ પર પગ મૂકી દેતાં ટ્રમ્પ દેકારા કરવા લાગ્યા. નમસ્કાર, ફિનલેન્ડના રાષ્ટ્રપતિ ટ્રમ્પના નજીકના મિત્ર મનાય છે. તેમણે તેના મિત્ર ટ્રમ્પને શીખામણ આપી છે કે ભારત સાથે સંબંધો બગાડવા બરાબર નથી. બીજી તરફ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પણ ચીનથી ટ્રમ્પને મેસેજ આપ્યો છે કે ભારત અને ચીન જેવા દેશો સાથે કેવો વ્યવહાર કરવો એ તમારે શીખવું જોઈએ. રાષ્ટ્રપતિ જેવા પદ પરથી આવો વ્યવહાર યોગ્ય નથી. પહેલા ફિનલેન્ડના રાષ્ટ્રપતિની વાત... અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર બહુ ઓછા લોકો પ્રભાવ પાડી શક્યા છે. તેમાંથી એક છે નાના યુરોપિયન દેશ ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ. જેમને ટ્રમ્પના નજીકના મિત્ર માનવામાં આવે છે. રાષ્ટ્રપતિ સ્ટબે તેમના મિત્ર ટ્રમ્પને ગ્લોબલ સાઉથ, ખાસ કરીને ભારત અંગે વિદેશી બાબતોમાં વધુ વ્યવહારુ અભિગમ અપનાવવા કહ્યું છે. સ્ટબે ટ્રમ્પને કહ્યું કે જો તમારી વિદેશ નીતિ ખાસ કરીને ભારતની બાબતમાં બરાબર નહીં હોય તો અમેરિકા અને પશ્ચિમી દેશો પોતાની ગેમ હારી જશે. મારો આ મેસેજ અમેરિકાને પણ છે અને યુરોપીયન સાથીદારોને પણ છે. આપણે ભારત પ્રત્યે યોગ્ય વ્યવહાર રાખવો પડશે. ફિનલેન્ડના રાષ્ટ્રપતિએ ચીનની SCO સમિટનો ઉલ્લેખ કર્યો. તેમણે મોદી, જિનપિંગ અને પુતિનની ત્રિપુટીના બોન્ડિંગની વાત કરી હતી. આ એક જ ફ્રેમમાં વિશ્વના ત્રણ શક્તિશાળી નેતાઓના દૃશ્યથી અમેરિકા સહિત સમગ્ર યુરોપિયન દેશો અસ્વસ્થ થઈ ગયા. SCO સમિટ અંગે ફિનલેન્ડના વડાપ્રધાને કહ્યું, આ સમિટ ગ્લોબલ વેસ્ટમાં આપણને બધાને યાદ અપાવે છે કે આપણા માટે શું દાવ પર લાગ્યું છે. અમે જૂની વ્યવસ્થાના અવશેષોને બચાવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ટૂંકમાં, સ્ટબનું કહેવાનું એ છે કે જે ચાલતું હતું તે બરાબર ચાલતું હતું. ટ્રમ્પે ડખો ઊભો કરી દીધો. ફિનલેન્ડના રાષ્ટ્રપતિને ટ્રમ્પના નજીકના માનવામાં આવે છે. માર્ચમાં તેમણે ફ્લોરિડામાં યુએસ રાષ્ટ્રપતિના માર-એ-લાગો રિસોર્ટમાં ટ્રમ્પ સાથે સાત કલાક ગોલ્ફ ગેમ રમી હતી. આ સમય દરમિયાન બંને વચ્ચે ગાઢ મિત્રતા થઈ હતી. સ્ટબ એવા થોડા યુરોપિયન નેતાઓમાંના એક છે જેમના મંતવ્યો ડોનાલ્ડ ટ્રમ્પને પ્રભાવિત કરી શકે છે. સ્વીડિશ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સના જાન હેલનબર્ગે AFPને કહ્યું હતું કે, નાના દેશોમાં તેમના જેટલું પ્રભાવશાળી કોઈ નથી. સ્ટબને ટ્રમ્પ સુધી એક અનોખી પહોંચ મળી છે જે કોઈપણ નાના યુરોપિયન દેશના કોઈ વ્યક્તિને ક્યારેય મળી નથી. હવે વાત પોલેન્ડના પત્રકારની, જેને ટ્રમ્પે ખખડાવી નાખ્યો... યુક્રેનના પાડોશી દેશ પોલેન્ડના રાષ્ટ્રપતિ કરોલ નવરોકી અમેરિકા ગયા છે. ઓવેલ હાઉસમાં ટ્રમ્પ અને નવરોકી વાતચીત કરતા હતા અને અમેરિકા તથા પોલેન્ડના પત્રકારો સામે ઊભા હતા. વાતચીત પૂરી થયા પછી સવાલ-જવાબનો સીલસીલો શરૂ થયો. તેમાં પોલેન્ડના પત્રકારે ટ્રમ્પની દુ:ખતી રગ પર પગ મૂકીને સવાલ પૂછી લીધો ને ટ્રમ્પ બરાબરના બગડ્યા. પોલેન્ડના પત્રકારે સવાલ પૂછ્યો કે, તમે ભારત પર પ્રતિબંધ લગાવી દીધો છે પણ રશિયા માટે તમારું વલણ કૂણું કેમ છે? રશિયા પર કેમ કોઈ કાર્યવાહી નથી થઈ? આવો તીખા મરચાં જેવો સવાલ સાંભળીને પહેલા તો ટ્રમ્પ ડોળા ફાડીને પત્રકાર સામે જોઈ રહ્યા. ઘડીભર તો સૂઝ્યું નહિ કે શું કહેવું, પણ પછી બગડેલા ટ્રમ્પે પોલેન્ડના પત્રકારને ખખડાવી નાખ્યો. ટ્રમ્પે પત્રકારના જવાબમાં કહ્યું કે, તમને કેવી રીતે ખબર કે કોઈ કાર્યવાહી નથી થઈ. હવે તમે કહેશો કે ચીનની બહારના સૌથી મોટા ખરીદાર ભારત પર સેકન્ડરી પ્રતિબંધ લગાવવો બરાબર છે? તમે તો એમ પણ કહેશો કે કોઈને કાંઈ અસર નથી થઈ. તમને ખબર છે, આનાથી રશિયાને સેંકડો અરબ ડોલરનું નુકસાન થયું છે. આ કાર્યવાહી નથી તો શું છે? હજી તો મેં પહેલું જ પગલું લીધું છે. ભારત સામે બીજું અને ત્રીજું સ્ટેજ તો હજુ બાકી છે. છતાં તમે કહો છો કે રશિયા સામે કોઈ કાર્યવાહી નથી થઈ. મને લાગે છે કે તમારે બીજી નોકરી શોધી લેવી જોઈએ. બે સપ્તાહ પહેલાં મેં કહ્યું હતું કે જો ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદે છે તો ભારતને મોટી સમસ્યા થશે, અને આ જ થયું છે. એટલે તમારે મને આ બાબતે કહેવાની જરૂર નથી. આ વાતચીત દરમિયાન ટ્રમ્પે સંકેત આપ્યો કે ભારત પર બીજા અને ત્રીજા સ્ટેજના પગલાં લેવા અંગે વિચારણા ચાલી રહી છે. આ ભારત માટે મોટો સંકેત છે. મોદીએ રશિયન રાષ્ટ્રપતિ સાથે કાર ડિપ્લોમસી કરી પછી ટ્રમ્પ વધારે ભડક્યા છે. પુતિને ચીનમાંથી જતાં જતાં ટ્રમ્પને શિખામણ આપી... SCO સમિટ અને વિકટ્રી પરેડમાં હાજરી આપવા ગયેલા રશિયાના રાષ્ટ્રપતિ વાલ્દીમીર પુતિને ચીનમાંથી વિદાય લેતી વેળાએ પ્રેસને સંબોધન કર્યું. રશિયન રાષ્ટ્રપતિ પુતિને ટ્રમ્પને શિષ્ટાચારની શિખામણ આપી. પુતિન બોલ્યા, દુનિયામાં ભારત જેવા દેશ છે જેની વસ્તી લગભગ 150 કરોડ છે. બીજી તરફ ચીન છે, જેની અર્થવ્યવસ્થા શક્તિશાળી છે. આ બંનેની પોત-પોતાના દેશની રાજનીતિ છે. જ્યારે કોઈ આ દેશોને કહે છે કે અમે તમને સજા આપવા જઈ રહ્યા છીએ, તો તમારે વિચારવું જોઈએ. આ બંને દેશનો ઈતિહાસ લાંબો છે. બંને દેશ મુશ્કેલ સમયમાંથી પસાર થયા છે. આ બંને દેશો સાથે યોગ્ય વ્યવહાર કરવો જોઈએ. આ બહુપક્ષીય દુનિયામાં કોઈ એક દેશની મનમાની નહિ ચાલે. ભારત અને ચીન જેવા દેશ અમેરિકાનું નહિ સાંભળે અને બંને દેશના પોતાના અધિકારો છે અને બંને દેશ પોતાના નિર્ણયો લેવા માટે સ્વતંત્ર છે. ટ્રમ્પ આ બંને દેશોને ધમકાવવાનું બંધ કરે. બંને દેશના નેતા ઝૂકશે નહિ, કારણ કે જો એ ઝૂકે તો તેની પોલિટિકલ કેરિયર ખતમ થઈ જશે. નરેન્દ્ર મોદી ચીનમાં આ કોને મળ્યા કે જેનાથી ટ્રમ્પ રઘવાયા બન્યા? નરેન્દ્ર મોદી સાથે એક વ્યક્તિની તસવીર જોવા મળી. આ વ્યક્તિને મોદી સાથે જોયા પછી ટ્રમ્પ અને યુરોપીયન દેશોના નેતાઓને ફાળ પડી છે. કારણ કે આ માણસની તાકાતની દુનિયાને ખબર છે. આ વ્યક્તિની મોદી સાથે મુલાકાત પછી યુરોપના દેશોએ સ્ટેટમેન્ટ આપ્યું છે કે અમેરિકા ભારતને અવગણતું રહેશે તો અમેરિકા પણ હારી જશે અને અમે પણ હારી જશું. સવાલ એ છે કે મોદી એવા તે ક્યા માણસને મળ્યા, જેને મળવા માટે એક સમયે ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઉતાવળા બની ગયા હતા. ટ્રમ્પે પ્રયાસો બહુ કર્યા પણ તેને મળી ન શક્યા. ચીનમાં મોદી SCO સમિટ માટે ગયા હતા ત્યારે તેમણે ચીનના તાકાતવર નેતા કાઈ ચી સાથે મુલાકાત કરી. કાઈ ચી એ ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગનો પડછાયો છે. ખુદ જિનપિંગે મોદી સાથે 'કાઈ ચી'ની મુલાકાત ગોઠવી આપી. ચીનમાં કોઈપણ મોટા નિર્ણય લેવાય છે તે 'કાઈ ચી'ના કહેવાથી લેવાય છે. કાઈ ચી કહે એટલું જ જિનપિંગ કરે છે. મોદી અને કાઈ ચી મળ્યા તેનો મતલબ જ એ કે ચીન નક્કી કાંઈક મોટાં પગલાં ભરવાની તૈયારીમાં છે. જેમ અકબરના દરબારમાં નવ રત્નો હતા તેમ ચીનમાં શી જિનપિંગના દરબારમાં સાત રત્નો છે જે ડિપ્લોમેટિક લેવલે નિર્ણય લઈને ચીનની કમાન સંભાળી રહ્યા છે. જિનપિંગ આ સાતને જ આધિન છે. ચીનમાં સરકાર ચલાવતા સૌથી તાકાતવર ગ્રુપમાં આ સાત સભ્યો છે. આ ગ્રુપનું નામ છે પોલિટ બ્યુરો સ્ટેન્ડીંગ કમિટિ. કાઈ ચી તેના સભ્ય છે. કહેવાય છે કે દુનિયાભરમાં ચીન જે પ્રોપેગેન્ડા ચલાવે છે તેના માસ્ટર માઈન્ડ આ કાઈ ચી છે. દુનિયામાં ચીન જે નેરેટિવ વોર ચલાવે છે તેના સેનાપતિ પણ કાઈ ચી જ છે. ભારત સામે પણ ચીન જે પ્રોપેગેન્ડા અપનાવે છે તે આ કાઈ ચી જ ચલાવે છે. પણ મોદી અને કાઈ ચીનું મળવું એ બહુ મોટા પરિવર્તન તરફ ઈશારો કરે છે. ચીની મીડિયામાં પણ અચાનક ભારતના વખાણ શરૂ થઈ ગયા છે. ચીનમાં સરકાર ચલાવતા આ સાત વ્યક્તિઓમાં કાઈ ચી શક્તિશાળી એટલે છે, કારણ કે જિનપિંગ જ્યારે પણ કોઈપણ દેશમાં પ્રવાસે જાય છે ત્યારે કાઈ ચીને જ સાથે લઈ જાય છે. બીજા કોઈ મેમ્બરને સાથે નથી લઈ જતા. 2015માં જિનપિંગ જો બાઈડેનને મળવા અમેરિકા ગયા ત્યારે તેની સાથે 'કાઈ 'ચીને સાથે લઈ ગયા હતા. ત્યારે જો બાઈડેન વાઈસ પ્રેસિડેન્ટ હતા. આ વખતે જિનપિંગના કહેવાથી કાઈ ચી પુતિનને પણ મળ્યા અને જિનપિંગે જ કાઈ ચી સાથે મોદીની મિટિંગ ગોઠવી દીધી. જાન્યુઆરી 2025માં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ હતો ત્યારે ટ્રમ્પ ઈચ્છતા હતા કે શપથ ગ્રહણ સમારોહમાં જિનપિંગ અને કાઈ ચી પણ આવે. જોકે એવું થયું નહોતું. ટ્રમ્પ જાણે છે કે જિનપિંગ જે નિર્ણયો લે છે તેને અંજામ આપવાનું કામ કાઈ ચી કરે છે. ચીનમાં જનરલ ઓફિસના ડાયરેક્ટર છે કાઈ ચી. આ ઓફિસ ચીનની પોલિટ બ્યુરો પાર્ટીનો કંટ્રોલરૂમ છે. જિનપિંગ જે આદેશ આપે તેને લાગૂ કરાવવાનું કામ આ જ ઓફિસનું છે. આ ઓફિસના હેડ છે કાઈ ચી. હવે ભારત-ચીન વચ્ચે જે કાંઈ સંબંધો આગળ વધશે તેમાં 'કાઈ ચી'નો મહત્વનો ફાળો હશે અને એટલે જ યુરોપના નેતાઓને ડર લાગે છે. આ જે અત્યારે ઈન્ટરનેશનલ જિઓ પોલિટકલ ડિપ્લોમસી. લાગે છે કે ચીન જઈને મોદી એક કાંકરે અનેક પંખી મારી આવ્યા છે અને ચારેય તરફથી ટ્રમ્પ પર તડાપીટ બોલી રહી છે. છેલ્લે, ટ્રમ્પ પાક્કા બિઝનેસમેન છે એ સાબિત થઈ ગયું. કારણ કે ઈઝરાયલ જ્યાં સતત હુમલા કરે છે તે ગાઝામાં લાખો લોકોનાં મોત થયાં છે પણ ટ્રમ્પ આ લોકોની કબર પર મોટી મોટી ઈમારતો બાંધીને 9 લાખ કરોડના ખર્ચે ગાઝાને દુબઈ જેવું બનાવવા માગે છે. ટ્રમ્પે આ યોજનાને 'ગાઝા રીકન્સ્ટ્રક્શન, ઈકોનોમિક એક્સેલરેશન એન્ડ ટ્રાન્સફોર્મેશન ટ્રસ્ટ' (GREAT) નામ આપ્યું છે. ટ્રમ્પ પોતાના સ્વાર્થ માટે કાંઈપણ કરી શકે છે અને એક દિવસ આ સ્વાર્થ જ તેમની ખુરશી માટે પણ જોખમ ઊભું કરશે એ નક્કી. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતાં રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 7:57 pm

ઓરેન્જ એલર્ટ વચ્ચે સુરતમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો:મીનીબજાર ખાતે ગોઠણ સુધીના પાણીથી ટ્રાફિકજામ, ઉકાઈ ડેમમાંથી 1.62 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયુ

લાંબા વિરામ બાદ સુરતમાં ફરીથી વરસાદનું આગમન થયું છે. છેલ્લા 4 દિવસથી વરસાદે વિરામ લીધા બાદ આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રોડ પર પાણી ભરાયા છે, જેનાથી જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગે સુરત માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે, જે સૂચવે છે કે આગામી સમયમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. વરસાદને કારણે ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદના કારણે રસ્તાઓ પાણી-પાણી થયાહવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 4થી 10 સપ્ટેમ્બર, 2025 દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સુરત શહેરમાં આજે બપોર બાદ એકાએક વાતવરણમાં પલટો આવ્યો હતો અને શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કાળા ડીબાંગ વાદળો સાથે સુરત શહેરમાં વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો એકાએક વરસાદી માહોલ સર્જાતા કામ અર્થે જતા લોકો અટવાયા હતા. લોકોને છત્રી અથવા રેઇનકોટ પહેરીને બહાર નીકળવાની ફરજ પડી હતી. વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થયા હતા. સરદાર પોલીસ ચોકીની બહાર પાણી ભરાવાના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યાસુરતના વરાછા કતારગામ અથવા ઉધના લિંબાયત પાંડેસરા સહિતના વિસ્તારોમાં રોડ પર પાણી ભરાઈ ગયા હતા. રોડ પર પાણી ભરવાના કારણે વાહનચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. કેટલાકના વાહનો પણ બંધ પડવાના દ્રશ્યો સામે આવ્યા છે. અંજની બુટભવાની ગાયત્રી રોડ ઉપર વરસાદી પાણી ભરાતા ટ્રાફિકજામ થઈ ગયો હતો. સુરતમાં ધોધમાર વરસાદના પગલે મીની બજાર ખાતે સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડીની બાજુના રોડ પર ગોઠણ સુધીના પાણી ભરાયા છે. ત્યાં આવેલી સરદાર પોલીસ ચોકીની બહાર પણ પાણી ભરાવાના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. પાણી ભરાવાના કારણે કેટલાક વાહનો પણ બંધ થવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. બીજી તરફ ઉકાઈ ડેમની વાત કરીએ તો આજે બપોરે 4 વાગ્યે ઉકાઈ ડેમની સપાટી 337.53 ફૂટ નોંધાઈ હતી. ડેમમાં ઇનફલો 2,25,711 કયુસેક જયારે આઉટફલો 1,62,144 કયુસેક નોંધાયો હતો. જયારે સુરત શહેરમાં આવેલો વિયરકમ કોઝ-વે ઓવરફલો થયો હોવાથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. કોઝ-વેની ભયજનક સપાટી 6 મીટર છે અને આજે બપોરે 4 વાગ્યે 8.4 મીટર નોંધાઈ હતી.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 7:50 pm

પારડીના ડેહલીના યુવકનું નદીમાં ડૂબી જવાથી મોત:પાર નદીમાં પડી જતાં ડૂબી ગયો હતો, ચંદ્રપુર લાઇફ સેવા ટ્રસ્ટના તરવૈયાઓએ મૃતદેહ શોધ્યો

વલસાડ જિલ્લામાં યુવાનોની નદીમાં ડૂબી જવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. તાજેતરની ઘટનામાં પારડી તાલુકાના ડેહલી ગામના પટેલ ફળિયામાં રહેતા 23 વર્ષીય વિરલ ભરતભાઈ પટેલનું નદીમાં ડૂબી જવાથી મોત થયું છે. વિરલ સવારે તેના મિત્ર સાથે ચિંચાઈ ગામની પાર નદીના કિનારે ગયો હતો. આ દરમિયાન તે નદીમાં પડી જતાં ડૂબી ગયો હતો. સ્થાનિક લોકોએ શોધખોળ કરી પરંતુ કોઈ પરિણામ ન મળતા ચંદ્રપુર લાઇફ સેવા ટ્રસ્ટના તરવૈયાઓને જાણ કરવામાં આવી. ટ્રસ્ટના પ્રમુખ જીગ્નેશ માંગેલા, ઉપપ્રમુખ સતીશભાઈ મોતીલાલ માંગેલા અને સુખદેવભાઈ અર્જુનભાઈ માંગેલાની ટીમે નદીમાં બોટ દ્વારા શોધખોળ શરૂ કરી. ટીમે ગણતરીની મિનિટોમાં વિરલનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. ઘટનાની જાણ થતાં વલસાડ રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લામાં યુવાનોની નદીમાં ડૂબી જવાની વધતી ઘટનાઓ સામાજિક ચિંતાનો વિષય બની છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 7:50 pm

સેશન્સ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટે ફેરવી નાખ્યો:પત્નીને કેરોસીન છાંટીને સળગાવી દેનાર પતિને આજીવન કારાવાસ, અગાઉ માત્ર 4 વર્ષની સજા થઈ હતી

ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા એક આરોપીની સજાને વધારવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી. તો આરોપીએ પોતાને અમરેલી સેશન્સ કોર્ટે ફટકારેલી સજાને રદ કરવા માટે અરજી કરી હતી. આરોપી ઉપર IPC 302 અને 498Aની કલમ હેઠળ પોતાની પત્નીની હત્યા માટે ગુનો નોંધાયો હતો. જેમાં આરોપીને અમરેલી કોર્ટે કુલ 4 વર્ષની સજા ફટકારી હતી. પત્ની ઉપર કેરોસીન છાંટીને તેને સળગાવી નાખી હતીઆરોપી બગસરાનો રહેવાસી છે. જેના લગ્ન થયા બાદ એક પુત્રનો પણ જન્મ થયો હતો. લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે વૈવાહિક તકરારો થતા પતિ-પત્નીને મારતો હતો. ત્યારે એક વખત પત્ની પિયર ચાલી ગઈ હતી, પરંતુ ત્યાંથી ત્યારે પતિ તેને તેડી આવ્યો હતો અને તેને હેરાન નહીં કરવાની બાહેંધરી આપી હતી. સામે પત્નીને પણ શક હતો કે, પતિને લગ્ન બાહ્ય સંબંધો છે. એક દિવસ રાત્રે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં પતિએ પત્ની ઉપર કેરોસીન છાંટીને તેને સળગાવી નાખી હતી. અમરેલી કોર્ટે 17 સાહેદ અને 21 પુરાવા તપાસ્યા હતાપત્નીને રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરાતા તેણે મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપ્યું હતું કે, તેના પતિએ તરીકે કેરોસીન છાંટીએ સળગાવી હતી. PM રીપોર્ટ મુજબ કાર્ડિયો રેસ્પિરેટરી ફેલ્યોર અને દાઝી જવાથી પત્નીનું મૃત્યુ થયું હતું. અમરેલી કોર્ટે 17 સાહેદ અને 21 પુરાવા તપાસ્યા હતા. પતિનું કહેવું હતું કે, રીવાજ મુજબ લગ્ન વખતે તેને પત્નીના ઘરના લોકોને પૈસા આપવાના થતા હતા. જે નહીં આપ્યા હોવાથી તેની ઉપર ખોટો આક્ષેપ કરવામાં આવ્યો છે. પતિને આજીવન કારાવાસની સજા ફટકારીઅમરેલી કોર્ટે નોંધ્યું હતું કે, પતિએ આવેશમાં આવીને પત્ની ઉપર કેરોસીન નાખીને સળગાવી દીધી હતી, પરંતુ તેને મારી નાખવાનો હેતુ ન હતો, વળી તે પત્નીને હોસ્પિટલ પણ લઈ ગયો હતો. આરોપીના વકીલનું કહેવું હતું કે, પત્નીએ જાતે આપઘાત કર્યો હતો. બે ડોક્ટરો સમક્ષ પત્નીએ નિવેદનમાં જાતે કેરોસીન છાંટીને આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું. પતિને લગ્ન બાહ્ય સંબંધો હોવાનો કોઈ પુરાવો કોર્ટ સમક્ષ મુકાયો નથી. જોકે ગુજરાત હાઇકોર્ટે મેજિસ્ટ્રેટ સમક્ષ પત્નીએ મૃત્યુ સમયે આપેલા નિવેદનને યોગ્ય ઠેરવ્યું હતું અને પતિને આજીવન કારાવાસની સજા ફટકારી હતી.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 7:44 pm

વલસાડ સ્ટેશન પર નવી સુવિધાઓની માંગ:શતાબ્દી, ગરીબરથ સહિત અનેક ટ્રેનોના સ્ટોપેજ અને નવી ટ્રેનો માટે ટ્રાવેલર્સ એસોસિએશનની રજૂઆત

વલસાડ ટ્રાવેલર્સ એસોસિએશને સાંસદ ધવલ પટેલના જન સંપર્ક કાર્યાલય ખાતે મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. એસોસિએશને વલસાડ સ્ટેશન પર શતાબ્દી એક્સપ્રેસ અને ગરીબરથ ટ્રેનના સ્ટોપેજની માંગણી કરી છે. સાથે જ ભાવનગર-તિરુવનંતપુરમ નોર્થ અને પોરબંદર-તિરુવનંતપુરમ નોર્થ ટ્રેનોના સ્ટોપેજની પણ માંગ કરવામાં આવી છે. એસોસિએશને વલસાડથી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા, હાવડા, વેલાંકન્ની અને ચેન્નઈ માટે નવી ટ્રેનોની શરૂઆત કરવાની માંગણી પણ કરી છે. સ્ટેશન પરની સુવિધાઓમાં વધારો કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. તમામ પ્લેટફોર્મ પર લિફ્ટ અને રેમ્પની માંગ કરવામાં આવી છે. પ્લેટફોર્મ 1, 2 અને 3 પર સંપૂર્ણ કવર શેડની માંગણી છે. પ્લેટફોર્મ 2, 3, 4 અને 5 પર યુરિનલની સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ છે. મોગરાવાડી વિસ્તારમાં નવી ટિકિટ બારી શરૂ કરવાની માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત નવી પિટ લાઈન અને અન્ય આંતરમાળખાકીય સુવિધાઓની પણ માંગ કરવામાં આવી છે. સાંસદ ધવલ પટેલે એસોસિએશનની માંગણીઓને સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 7:43 pm

ગેરકાયદે વીજ જોડાણ મામલે કાર્યવાહી:પ્રોહિબિશન કેસના આરોપીના ઘરે PGVCL અને પોલીસની તપાસ, 2.58 લાખનો દંડ ફટકાર્યો

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે પ્રોહિબિશન કેસમાં ફરાર આરોપીની શોધખોળ દરમિયાન મોટી કાર્યવાહી કરી છે. માલવણ પોલીસ સ્ટેશન વિસ્તારના ગેડીયા ગામમાં કોમ્બિંગ દરમિયાન પોલીસે આરોપી સોહરબખાન બિશમિલ્લાખાન મલેકના ઘરે તપાસ કરી હતી. તપાસ દરમિયાન આરોપીના ઘરે ગેરકાયદે વીજ જોડાણ મળી આવ્યું હતું. પોલીસે તાત્કાલિક PGVCLની ટીમને બોલાવી હતી. PGVCLની ટીમે સ્થળ તપાસ કરીને આરોપી પર રૂપિયા 2,58,000નો દંડ ફટકાર્યો છે. આ કાર્યવાહી ગુજરાત પોલીસ મહાનિદેશકના આદેશ અંતર્ગત કરવામાં આવી છે. DGPએ 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી તેમની સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ (IPS)એ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે LCB, SOG અને તમામ પોલીસ સ્ટેશનોને પ્રોહિબિશન, જુગાર અને અન્ય ગુનાઓના આરોપીઓની ધરપકડ માટે સૂચના આપી હતી. આ સૂચના અંતર્ગત LCB, SOG અને માલવણ પોલીસની સંયુક્ત ટીમે ગેડીયા ગામમાં કોમ્બિંગ કરી આ કાર્યવાહી કરી હતી.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 7:41 pm

6 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત:દેશની પ્રથમ સ્કિલ્ડ બેઝ્ડ ટીમલીઝ સ્કિલ્સ યુનિવર્સિટીનો 8મો પદવીદાન સમારોહ, 44 વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરાઈ

દેશની પ્રથમ એવી વ્યવસાયિક સ્કિલ્સ યુનિવર્સિટીનું જેને બિરુદ મળેલું છે, એવી વડોદરાની ટીમલીઝ સ્કિલ્સ યુનિવર્સીટી ખાતે 8મો પદવીદાન સમારોહ યોજાયો હતો. દેશમાં વ્યવસાયિક ડીગ્રી બાબતે ટીમલીઝ સ્કિલ્સ યુનિવર્સિટી ખૂબ જ જાણીતી છે જેમાં ડીગ્રી મેળવ્યા બાદ વિદ્યાર્થીઓ ખૂબ સારી પોસ્ટ પર નોકરી અથવા પોતાનો બિઝનેસ કરી રહ્યા છે જે યુનિવર્સિટીના યશકલગીમાં વધારો કરી રહ્યું છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા શૈક્ષણિક સિદ્ધિ મેળવીને સૌકોઈનું ધ્યાન આકર્ષિત કર્યું છે. વિદ્યાર્થીઓને ડીગ્રી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યાપદવીદાન સમારોહની શરૂઆત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પ્રો. ડૉ. એચ.સી.ત્રિવેદી દ્વારા સ્વાગત પ્રવચન અને યુનિવર્સિટીના વાર્ષિક રિપોર્ટ તેમજ મેળવેલ સિદ્ધિ બાબતે રસપ્રદ માહિતી પૂરી પાડી હતી. ત્યારબાદ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. ડૉ.અવની ઉમટ દ્વારા વિદ્યાર્થીઓને ડીગ્રી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા તેમજ તેમણે મુખ્ય પ્રવચન આપ્યું હતું. ચીફ ગેસ્ટ તરીકે પધારેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એચ આર વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ એવા અનંત ઈન્દુલકર એ પણ પોતાના અનુભવ જણાવ્યા હતા તેમજ વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે શુભકામના આપી હતી. મેનેજમેન્ટ પ્રતિનિધિ નીતિ શર્મા એ પણ તમામ ગ્રેજ્યુએટને અભિનંદન પાઠવ્યા હતા જેની સાથે યુનિવર્સિટી ના પ્રેસિડેન્ટ મનીષ સબરવાલ એ પણ તેમને ઉત્તમ ભવિષ્યની શુભકામના પાઠવી હતી. 6 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા44 વિદ્યાર્થીઓ જે ગ્રેજ્યુએટ થયા છે તેમાં બી.બી.એ., બી.કોમ., બિ.સી.એ. તેમજ બી.એસસી. જેવા ક્ષેત્રના વિદ્યાર્થીઓ શામેલ છે. જેમાં ફાઇનાન્સ, માર્કેટિંગ, સ્પોર્ટ્સ મેનેજમેન્ટ, બિઝનેસ ઓપરેશન્સ, સોફ્ટવેર ડેવલોપમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ અને મેડિકલ લેબ ટેકનોલોજી ક્ષેત્રના વિદ્યાર્થીઓ શામેલ છે. 2024-25માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 6 વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. કરન ઉમટે અંડર 16, 19 અને 23 ટુર્નામેન્ટમાં બરોડાનું પ્રતિનિધિત્વ કર્યું6 ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓમાં દૃષ્ટિ રાઠોડ, કશિષ શર્મા, પુરુરાજસિંહ ઠાકોર, મિત ભગત, હર્ષિત રાઠવા અને કરન ઉમટનો સમાવેશ થાય છે. જે પૈકી કરન ઉમટે મેળવેલી સિદ્ધિ સૌથી અનોખી હતી. શૈક્ષણિક અને ક્રિકેટમાં તેમને ઉત્કૃષ્ટ દેખાવ બદલ બીસીસીઆઇ દ્વારા અંડર 16, 19 અને 23 જેવી કેટેગરીની ટુર્નામેન્ટમાં તેમનું સીલેક્સન થયું હતું. જેમાં તેમને બરોડાનું પ્રતિનિધિત્વ કર્યું હતું, આ ઉપરાંત નેશનલ ક્રિકેટ એકેડમી ખાતે પણ ટ્રેનિંગ માટે કરનની પસંદગી થતાં યુનિવર્સિટી દ્વારા તેમનું વિશેષ સન્માન કરાયું હતું. તમામ વિદ્યાર્થીઓ ભવિષ્યના લીડર બનવાની પ્રતિભા રાખે છેયુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો.ડૉ.અવની ઉમટે જણાવ્યું હતું કે, આ પદવીદાન સમારોહ ખાસ છે જેમાં ડીગ્રી મેળવનાર તમામ વિદ્યાર્થીઓ ભવિષ્યના લીડર બનવાની પ્રતિભા રાખે છે. પોતાની પ્રમાણિકતા અને સ્કીલ્સના જોરે તેઓ નવીનતા અને પરિવર્તન લાવી શકવા માટે કડીરૂપ ભૂમિકા ભજવશે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 7:40 pm

રોડ પર ઉભેલી બોલેરો સાથે બાઈકની જોરદાર ટક્કર:ગમખ્વાર અકસ્માતમાં બાઈક સવાર બે લોકોના મોત, રાજુલા નજીકનો બનાવ

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલાના દાતરડી ગામ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો છે. રોડ પર ઊભેલા બોલેરો પાછળ એક બાઈક ધડાકાભેર અથડાઈ હતી. જેથી અકસ્માત સર્જાતા બાઇકમાં સવાર બે લોકોના મોત થયા છે. મહુવાથી રાજુલા તરફ જઈ રહેલા બાઇક સવારો પૂરપાટ ઝડપે આવી રહ્યા હતા. દાતરડી ગામ નજીક બ્રિજ પાસે રોડ પર ઊભેલી બોલેરોની પાછળ બાઇક ધડાકાભેર અથડાયું હતું. અકસ્માતમાં બંને બાઇક સવારોને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘાયલોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે રાજુલા અને મહુવા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન બંનેના મોત નિપજ્યા હતા. મૃતકોની ઓળખ છતડીયાના ખીમાભાઈ મુળુભાઈ ક્વાડ (ઉંમર 65) અને રાજુલાના પિયુષભાઈ મનુભાઈ ક્વાડ તરીકે થઈ છે. ડુંગર પોલીસે બોલેરો ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધ્યો છે. ફરાર થઈ ગયેલા બોલેરો ચાલકની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે અને તેની ધરપકડ માટે પોલીસે કવાયત હાથ ધરી છે. આ ઘટનાથી મૃતકોના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 7:33 pm

યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારી રૂપિયા પડાવ્યા:સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી જૂનાગઢ-રાજકોટની હોટેલોમાં દુષ્કર્મ આચર્યું, પોલીસે આરોપીની ધરપકડ કરી

જૂનાગઢ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી છે. આરોપી વસીમ સાદિકભાઈ નાગોરીએ યુવતી સાથે મિત્રતા કેળવી, લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો અને લાખો રૂપિયા તેમજ દાગીના બળજબરીથી પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે. પીડિતાએ આરોપી વસીમ નાગોરી સામે ફરિયાદ નોંધાવી હતીઆ સમગ્ર મામલે જૂનાગઢના ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ વિગતો આપતા જણાવ્યું કે, ગઈકાલે ભોગ બનનાર યુવતીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વસીમ સાદિકભાઈ નાગોરી નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ લગ્નની લાલચ આપી અવારનવાર શરીર સંબંધ બાંધ્યા હતા અને બળજબરીપૂર્વક તેના રૂપિયા અને દાગીના કઢાવી લીધા હતા. યુવતીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો​ડીવાયએસપીએ વધુમાં જણાવ્યું કે, આ યુવતી એક ખાનગી બેંકમાં નોકરી કરે છે. દોઢ વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ મારફતે આરોપી વસીમ તેના સંપર્કમાં આવ્યો હતો. યુવતીનો કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ ચાલતો હોવાનું જાણતા વસીમે તેને મદદ કરવાના બહાને મળવા બોલાવી. તેણે યુવતી સાથે લગ્ન કરવાનો વિશ્વાસ આપી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ રાજકોટ અને જૂનાગઢની હોટેલોમાં પણ તેઓ અવારનવાર મળ્યા હતા. યુવતી પાસેથી પૈસા અને સોનાના દાગીના પડાવ્યા હતાઆરોપી વસીમે વર્ષ 2024 દરમિયાન યુવતી પાસેથી પૈસાની જરૂર હોવાનું કહી ધમકી આપી હતી. તેણે કહ્યું હતું કે, જો રૂપિયા નહીં આપે તો તે હોટેલની મુલાકાતો વિશે તેના પતિને જણાવી દેશે, જેથી તેનો કેસ નબળો પડશે. આ ધમકીથી ડરીને યુવતીએ બેંકમાંથી લોન લઈ અને પોતાના દાગીના ગીરવે મૂકી કુલ રૂ. 5,38,333 ની મતા આરોપીને આપી હતી. આ રકમમાં રોકડ, સોનાના દાગીના અને મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. આખરે, લગ્ન કરવાનો ઇન્કાર કરી અને યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી વસીમ નાગોરીની ધરપકડ કરીફરિયાદ દાખલ થયા બાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ આરોપી વસીમ નાગોરીની ધરપકડ કરી હતી. આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે. વધુમાં તે ફોર વ્હીલ લે-વેચનો ધંધો કરે છે. સાથે સાથે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. તેમના પરિવારમાં તેની બહેન એડવોકેટની પ્રેકિ્ટસ કરે છે. તેના જણાવ્યા મુજબ અને તેમના પિતા પોલીસમાં હતા. તેમજ હાલ આ આરોપી વિરુદ્ધ અગાઉ ભૂતકાળમાં પણ શરીર સંબંધી, પ્રોહિબિશન, જુગાર, છેતરપિંડી જેવા ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ દ્વારા તપાસના કામે છે એ નામદાર કોર્ટમાં રિમાન્ડની માગણી કરવામાં આવશે. ​આ કામગીરી જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એ.બી. ગોહિલ, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર કે.એમ. વાઢેર અને તેમની ટીમના અન્ય સભ્યો દ્વારા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 7:29 pm

દિલ્હીમાં CMની અગ્રગણ્ય ઉદ્યોગકારો-સંગઠનો સાથે સંવાદ-બેઠક:ગુજરાતની વિકાસ યાત્રા 'નેક્સ્ટ સ્ટેપ ફ્યુચર રેડી મેગા' પ્રોજેક્ટ સંચાલિત, ગુજરાત ઇન્ડસ્ટ્રી એન્ડ એન્ટરપ્રિન્યોરશીપનો સંગમ ધરાવતું વાઇબ્રન્ટ સ્ટેટ: CM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના પ્રચાર માટે દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં તેમણે અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ અને સંગઠનો સાથે ફળદાયી સંવાદ અને બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આ કોન્ફરન્સ ગુજરાતના વિવિધ પ્રદેશોની વિશિષ્ટતાઓ, ઔદ્યોગિક ક્ષમતા, આર્થિક સંભાવના અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ કોન્ફરન્સ ‘ક્ષેત્રીય આકાંક્ષા-વૈશ્વિક મહત્વકાંક્ષા’ની થીમ પર આધારિત હશે અને રોકાણકારોને સ્થાનિક ઉદ્યોગો સાથે સીધા જોડાણની તક આપશે. મુખ્ય સચિવ પંકજ જોષીએ આ પહેલને 'ગુજરાત મોડલ' ગણાવ્યું, જ્યારે ભારત સરકારના ડીપીઆઇઆઇટી (DPIIT) સચિવ અમરદીપસિંઘ ભાટીયાએ જણાવ્યું કે ગુજરાત આ પહેલથી અન્ય રાજ્યો માટે માર્ગદર્શક બન્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસના પ્રમોશન માટે નવી દિલ્હીમાં અગ્રણી ઉદ્યોગોકારો, ઔદ્યોગિક સંગઠનોના પદાધિકારીઓ સાથે સંવાદ બેઠક રોડ-શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધ્યક્ષીય સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, ટ્રેડ એન્ડ ટ્રેડિશન, કોમર્સ એન્ડ કલ્ચર, ઇન્ડસ્ટ્રી એન્ડ એન્ટરપ્રિન્યોરશિપનો સંગમ ધરાવતું વાઇબ્રન્ટ ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી, વાઇબ્રન્ટ સમિટના માધ્યમથી, દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બની ગયું છે. તેમણે 2003માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટની શરૂઆતનો જે વિચાર આપ્યો હતો તે રાજ્યના સર્વગ્રાહી વિકાસ માટે ગેમ ચેન્જર સાબિત થયો છે. આ સમિટની બે દાયકાની જ્વલંત સફળતાને પગલે ગુજરાત આજે દેશના મોસ્ટ ઇન્ડસ્ટ્રીયલાઈઝ્ડ અને અર્બનાઈઝ્ડ સ્ટેટ તરીકે રોકાણકારો માટે મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે. વડાપ્રધાને સર્વસમાવેશી અને દરેક વ્યક્તિ, દરેક વિસ્તાર સુધી પહોંચે તેવા વિકાસનું વિઝન આપ્યું છે. આ વિઝનને પરિપૂર્ણ કરવા ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સફળતા પછી હવે પ્રાદેશિક સ્તર પર ઔદ્યોગિક, આર્થિક વિકાસને વેગ આપવા રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સીસ શરૂ કરી રહ્યાં છીએ. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતના કેટલાંક પ્રદેશોના પ્રોડક્શન અને આઉટપુટ તો દેશના કેટલાક રાજ્યોના પ્રોડક્શન કરતાં પણ વધારે છે. આ રિજનલ કોન્ફરન્સ દ્વારા ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત પ્રદેશોમાં સેક્ટર સ્પેસિફિક ઇન્વેસ્ટમેન્ટ નવી તકો ખુલશે અને ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટની નવી દિશા મળશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ રાજ્યમાં પીએમ મિત્ર પાર્ક, બલ્ક ડ્રગપાર્ક, મેડિકલ ડિવાઇસ પાર્ક, એગ્રો ફૂડ પાર્ક જેવા સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ડેવલપ કરવામાં આવી રહ્યા છે તેની પણ ભૂમિકા વ્યાપક પ્રાદેશિક વિકાસ સંભાવનાઓના સંદર્ભમાં આપી હતી. સાથે ગુજરાતની વિકાસયાત્રાનું નેક્સ્ટ સ્ટેપ ગિફ્ટ સિટી, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન, સેમિકોન, ગ્રીનફિલ્ડ પોર્ટ્સ, ગ્રીન એનર્જી જેવા ફ્યુચર રેડી મેગા પ્રોજેક્ટ્સથી સંચાલિત હશે. તેમ વધુમાં ઉમેર્યું હતું. આવા ફ્યુચરિસ્ટિક મેગા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સહિત રિજનલ ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રેન્થને પરિણામે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસ રોકાણકારોને રિજનલ ઇકો સિસ્ટમ સાથે સીધા જોડાણનો અવસર પૂરો પાડશે. એટલું જ નહિ, સ્થાનિક એમ.એસ.એમ.ઇ. અને આનુષંગિક ઉદ્યોગોને વધુ વિકસવાની તક મળશે તેમ પણ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું. આવી રિજનલ કોન્ફરન્સીસ દરમિયાન ટ્રેડ-શો, એક્ઝિબિશન અને સેક્ટર સ્પેસિફિક સેમિનારના આયોજનથી રિજનલ પ્રોડક્ટ્સને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હિતધારકો સામે પ્રસ્તુત કરવાનો મંચ મળશે. ‘ક્ષેત્રીય આકાંક્ષા-વૈશ્વિક મહત્વકાંક્ષા’ની થીમ સાથે યોજાનારી વડાપ્રધાનશ્રીના લોકલ ફોર લોકલ - લોકલ ફોર ગ્લોબલના સંકલ્પને પણ સાકાર કરશે. તેમજ વિકસિત ગુજરાત 2047 માટે રાજ્યની ઇકોનોમીને 3.5 ટ્રિલિયન યુ.એસ. ડોલર ઇકોનોમી બનાવવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે તેમ મુખ્યમંત્રીએ દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું. તેમણે આગામી 9-10 ઓક્ટોબરે ઉત્તર ગુજરાતમાં પ્રથમ રિજનલ કોન્ફરન્સમાં અને ત્યારબાદ અન્ય ત્રણ પ્રદેશોમાં યોજાનારી વી.જી.આર.સી.માં સક્રિય સહભાગી બનવાનું ઉદ્યોગ અગ્રણીઓને ઇજન પાઠવ્યું હતું. આ અવસરે મુખ્ય સચિવ પંકજ જોષીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2003માં રાજ્યમાં શરૂ થયેલી સમિટ હવે પોલિસી, પાર્ટનરશીપ અને ઇન્વેસ્ટમેન્ટનું પ્લેટફોર્મ બની ગઈ છે. ગુજરાત 2047માં વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં વધુ મોટી ભૂમિકા ભજવવા સજ્જ છે તેની ભૂમિકા આપતા મુખ્યસચિવશ્રીએ કહ્યું કે, ભારત સરકાર દ્વારા બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાન અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં ગુજરાતે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. સિંગલ વિન્ડો ક્લિયરન્સ એક્ટ-2017 દ્વારા રાજ્યમાં નિશ્ચિત સમયાવધિમાં મંજૂરીઓનો નિકાલ ફરજિયાત બનાવાયો છે. 200થી વધુ વ્યવસાય સંબંધિત મંજૂરીઓ માટે વન સ્ટોપ સોલ્યુશન તરીકે એન્ડ ટુ એન્ડ ઓનલાઈન અરજી પદ્ધતિ સાથેનું ઇન્વેસ્ટર્સ ફેસેલિટેશન પોર્ટલ પણ કાર્યરત કરવામાં આવેલું છે. એટલું જ નહિ, સનરાઈઝ સેક્ટર્સ એવા સેમિકન્ડક્ટર, રિન્યૂએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન તથા ડિફેન્સ અને એરોસ્પેસ ક્ષેત્રોમાં રોકાણો આકર્ષિત કરવામાં પણ ગુજરાત સફળતાપૂર્વક આગળ રહ્યું છે. તેને વધુ વેગ આપવા વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ રિજનલ બેલેન્સ્ડ ડેવલપમેન્ટ અને ઇન્ક્લુઝિવ ગ્રોથનું ગુજરાત મોડલ બનશે તેવો વિશ્વાસ મુખ્ય સચિવે વ્યક્ત કર્યો હતો. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT)ના સચિવ અમરદિપસિંહ ભાટીયાએ ગુજરાત સરકાર દ્વારા શરૂ થવા જઈ રહેલી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની સરાહના કરતાં જણાવ્યુ હતુ કે, આ કોન્ફરન્સથી ટીઅર-2 અને ટીઅર-3 શહેરોમાં નવી ઈન્ડસ્ટ્રીઝનો વિકાસ થશે અને આ કોન્ફરન્સના કારણે નાના શહેરોમાં નવા સ્ટાર્ટ અપ્સને વિકસવાની તક મળશે. ગુજરાત VGRCના નવા ઈનેશિયેટીવથી દેશમાં લીડ લઈને અન્ય રાજ્યો માટે પથદર્શક બન્યું છે તેને પણ તેમણે બિરદાવ્યું હતું. ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા જન વિશ્વાસ બિલથી આવેલા સુધારો અંગે સચિવ ભાટીયાએ છણાવટ કરી હતી અને સિંગલ વિન્ડો સિસ્ટમા કારણે ઉદ્યોગ માટેની જરૂરી મંજૂરીઓમાં પારદર્શિતા અને ઝડપ આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું. ઉદ્યોગ અગ્ર સચિવ મમતા વર્માએ આ ઇન્ટરેક્શન મીટમાં સૌને આવકારીને VGRCનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કર્યો હતો. ઉદ્યોગ કમિશનર પી. સ્વરુપે રાજ્યની ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ જર્નીમાં VGRCની પ્રાદેશિક વિશેષતાઓ અને વિકાસ સંભાવનાઓ સાથેનું પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યું હતું. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવશ્રીઓ, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ, ફિક્કીના પ્રેસિડેન્ટ હર્ષવર્ધન અગ્રવાલ, હેસ્ટર બાયોસાયન્સીસના સીઈઓ અને એમડી રાજીવ ગાંધી તેમજ અગ્રણી ઉદ્યોગ સંચાલકો અને ઉદ્યોગ સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 7:22 pm

ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો:નેત્રંગમાં સૌથી વધુ 115 મિમી વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર સર્જાયો

ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. શહેરમાં સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. બપોરે કાળા ડીબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ નોંધાયો હતો. શક્તિનાથ, પાંચબત્તી, સેવાશ્રમ માર્ગ, કલેક્ટર કચેરી, લિંક રોડ અને કોલેજ રોડ વિસ્તારોમાં ભારે વરસાદથી વાતાવરણ ઠંડુ બની ગયું હતું. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ફુરજા વિસ્તારમાં વરસાદી પાણીના કારણે દુકાનદારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. નેત્રંગમાં સૌથી વધુ 115 મિમી, અંકલેશ્વરમાં 79 મિમી, ઝગડિયામાં 152 મિમી અને વાગરામાં 55 મિમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં વરસાદની બે સિસ્ટમ સક્રિય હોવાથી આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. વહીવટી તંત્રે નાગરિકોને સાવચેત રહેવા અને અનાવશ્યક બહાર ન નીકળવા અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 7:15 pm

આણંદ મહાનગરપાલિકામાં મૂળભૂત સુવિધાઓનો અભાવ:રસ્તા, ગટર, પાણી સહિતની સમસ્યાઓ અંગે કોંગ્રેસનું કમિશનરને આવેદન

આણંદને મહાનગરપાલિકા બન્યાને આઠ મહિનાથી વધુ સમય થયો છે. આજે આણંદ જિલ્લા કોંગ્રેસે કરમસદ-આણંદ મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, મહાનગરપાલિકા વિસ્તારમાં અનેક રસ્તાઓ તૂટેલી હાલતમાં છે. GUDCના કામો અધૂરા છે. શહેરમાં ટ્રાફિક અને રખડતા ઢોરની સમસ્યા છે. કેટલાક વિસ્તારોમાં ગટર લાઈનો નથી. ઘણા વિસ્તારોમાં પીવાના પાણીનું પ્રેસર ઓછું આવે છે. કરમસદ નગરપાલિકા, વિદ્યાનગર પાલિકા તેમજ ગામડી, લાંભવેલ, મોગરી અને જીતોડિયા પંચાયતના કામકાજો ઠપ થયા છે. નાગરિકોને સરકારી કામો માટે મુશ્કેલી પડે છે. પરીખભુવન, વિદ્યા ડેરી રોડ, મંગલપુર, સોગોડપુરા, બાકરોલ, મોટી ખોડિયાર અને પૂર્વ વિસ્તાર વિકાસથી વંચિત છે. કોંગ્રેસે આ વિસ્તારોમાં ટાઉન પ્લાનિંગ કરવાની માંગ કરી છે. મહાનગરપાલિકા બન્યા પછી પણ મૂળભૂત સુવિધાઓની સમસ્યાઓ યથાવત છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 7:12 pm

NH-48 પર 5 કિમી લાંબો ટ્રાફિક જામ:પારડી-વલસાડ વચ્ચે રોડ કાર્પેટિંગ કામથી વાહનોની કતારો લાગી, એમ્બ્યુલન્સ પણ ફસાઈ

વલસાડ જિલ્લામાં નેશનલ હાઇવે-48 પર આજે મોટો ટ્રાફિક જામ સર્જાયો છે. પારડીથી વલસાડ સુગર ફેક્ટરી બ્રિજ સુધી લગભગ 5 કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી છે. હાઇવે ઓથોરિટી દ્વારા રસ્તાના કાર્પેટિંગ કામને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. વાપી, મુંબઈ અને અન્ય વિસ્તારોથી આવતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને મુંબઈથી સુરત તરફના ટ્રેક પર આ સમસ્યા વધુ ગંભીર છે. વલસાડ જિલ્લાના 62 કિલોમીટર લાંબા હાઇવે પર બિસ્માર થયેલા રસ્તાની મરામત કામગીરી ચાલી રહી છે. NHAI ની ટીમ ત્રણ ટ્રેક પૈકી એક ટ્રેક પર કામ કરી રહી છે. બાકીના બે ટ્રેક વાહન વ્યવહાર માટે ખુલ્લા રાખવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ટ્રાફિક જામની સ્થિતિ હળવી કરવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વાહન ચાલકોની ઉતાવળ અને અધીરાઈને કારણે સ્થિતિ વધુ બિકટ બની છે. ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ જવાના કારણે કટોકટીની સ્થિતિ સર્જાઈ છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 7:08 pm

GPNAMEC દ્વારા નર્સિંગ-પેરામેડિકલ પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડ ચોઇસ ફિલિંગ શરૂ:10 સપ્ટેમ્બર છેલ્લી તારીખ, જાણો કેટલી બેઠકો અને કયા દસ્તાવેજો આપવા પડશે

ગુજરાત પ્રોફેશનલ નર્સિંગ અને એલાઈડ મેડિકલ એજ્યુકેશનલ કોર્સિસ (GPNAMEC) દ્વારા વર્ષ 2025-26 માટેની પ્રવેશ પ્રક્રિયાના ઓનલાઈન પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. નર્સિંગ અને પેરામેડિકલના વિવિધ અભ્યાસક્રમો જેવા કે બી.એસ.સી. નર્સિંગ, બી. ફિઝિયોથેરાપી, જી.એન.એમ., એ.એન.એમ., બી. ઓપ્ટોમેટ્રી, બી. ઓક્યુપેશનલ થેરાપી, બી. ઓર્થોટીક્સ અને પ્રોસ્થેટીક્સ, બી.એ.એસ.એલ.પી અને બી. નેચરોપથી માટે પ્રથમ રાઉન્ડનું ઓનલાઈન ચોઈસ ફિલિંગ શરૂ થઈ ગયું છે. ચોઈસ ફિલિંગની પ્રક્રિયા 4 ઓગસ્ટ, 2025 એટલે કે આજથી શરૂ થઈ છે. આ ચોઈસ ફિલિંગ માટેની છેલ્લી તારીખ 10 સપ્ટેમ્બર, 2025 છે અને તે સવારે 10 વાગ્યા સુધીની રહેશે. સંસ્થાઓ માટે જરૂરી દસ્તાવેજોજે સંસ્થાઓએ પ્રથમ રાઉન્ડની ચોઈસ ફિલિંગમાં સમાવેશ થવા માટે જરૂરી દસ્તાવેજો જમા કરાવ્યા નથી, તેમને 9 સપ્ટેમ્બર, 2025 ના રોજ સાંજે 4 વાગ્યા સુધીમાં પ્રવેશ સમિતિ ખાતે દસ્તાવેજો જમા કરાવી શકે છે. જો આ દસ્તાવેજો સમયસર જમા કરાવવામાં નહીં આવે, તો તે સંસ્થાઓને પ્રથમ રાઉન્ડમાં બેઠકોની ફાળવણી કરવામાં આવશે નહીં. ઉપલબ્ધ બેઠકોની વિગતો વિદ્યાર્થીઓ માટે સૂચનાતમામ વિદ્યાર્થીઓને પ્રવેશ સમિતિની વેબસાઈટ www.medadmgujarat.org નિયમિત રીતે જોતા રહેવા માટે કહેવામાં આવ્યું છે. કોઈ પણ પ્રશ્ન અથવા સમસ્યા હોય તો, વિદ્યાર્થીઓ pnamec.admcommittee1@gmail.com ઈમેલ પર રજૂઆત કરી શકે છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 7:05 pm

દાહોદમાં આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક:ટીબી, મેલેરિયા સહિત વિવિધ આરોગ્ય કાર્યક્રમોની સમીક્ષા, નબળી કામગીરી કરનારા કેન્દ્રોને સૂચના

દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ. બેઠકમાં આરોગ્ય સેવાઓ અને રાષ્ટ્રીય કાર્યક્રમોની કામગીરીની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ હેઠળ ચાલતી 100 દિવસની ઝુંબેશની પ્રગતિની સમીક્ષા થઈ. આમાં વનરેબલ વસ્તીની સ્ક્રીનિંગ અને ટીબી દર્દીઓની નોંધણીની માહિતી આપવામાં આવી. નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત મેલેરિયા અને ડેન્ગ્યુ નિયંત્રણની કામગીરીની ચર્ચા થઈ. QAMO ડૉ. રાકેશ વોહનિયાએ બે બાળકોના ઓપરેશન અંગે માહિતી આપી. ADHO ડૉ. ગિરવર બારીયાએ નોન કોમ્યુનિકેબલ ડિસીઝ કાર્યક્રમમાં નોંધણી ઓછી હોવાની ચિંતા વ્યક્ત કરી. મેડિકલ ઓફિસર અને CHOને યોગ્ય રેકોર્ડ ન રાખવા બદલ ચેતવણી આપવામાં આવી. RCHO ડૉ. અશોક ડાભીએ સગર્ભા માતાઓની નોંધણી અને રસીકરણની માહિતી રજૂ કરી. CDHO ડૉ. ઉદય ટીલાવતે મારું સ્વપ્ન સ્વસ્થ શાળા અભિયાન અંતર્ગત દર શુક્રવારે શાળાઓમાં આરોગ્ય કાર્યક્રમો યોજવાની જાહેરાત કરી. આમાં સ્વચ્છતા, પોષણ અને આરોગ્ય શિક્ષણ આપવામાં આવશે. જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાએ આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધારવા માર્ગદર્શન આપ્યું. બેઠકમાં જિલ્લાના તમામ આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 7:00 pm

પાટણ યુનિવર્સિટીમાં NEP 2020ના 5 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સેમિનાર:વિકસિત ભારત માટે શિક્ષણમાં પરિવર્તન વિષય પર ચર્ચા, શિક્ષણવિદોની ઉપસ્થિતિ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય શૈક્ષણિક સેમિનાર યોજાયો. યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોજાયેલા આ સેમિનારમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના પાંચ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવી. સેમિનારના ઉદ્ઘાટન સત્રમાં યુનિવર્સિટીના કુલપતિ પ્રો. કે. સી. પોરીયા, કુલસચિવ ડો. રોહિતભાઈ દેસાઈ, પૂર્વ સદસ્ય જીપીએસસી ડો. શ્રુતિ આણેરાવ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કુલસચિવે સ્વાગત પ્રવચનમાં મહાસંઘના વિવિધ કાર્યક્રમો અને પ્રકાશનોની માહિતી આપી. પાટણ જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું કે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા ગુણવત્તાસભર શિક્ષણ આવશ્યક છે. તેમણે નવી શિક્ષણ નીતિમાં જીવન કૌશલ્ય અને મૂલ્યો પર મુકાયેલા ભાર વિશે વાત કરી. કુલપતિ પ્રો. પોરીયાએ NEPને ભારતીયતા અને સ્કિલ-બેઝ્ડ શિક્ષણનું પ્રતીક ગણાવ્યું. મુખ્ય વક્તા ડો. શ્રુતિ આણેરાવે ભારતના મહાન વૈજ્ઞાનિકો અને તેમના યોગદાનની વાત કરી. તેમણે ભારતીય ગણિત, ખગોળ, આયુર્વેદ જેવા વિષયોની વિસ્તૃત માહિતી આપી. સેમિનારમાં અધ્યાપકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો. ગોંડલ કોલેજના પ્રિન્સિપાલ ડો. નિર્મળસિંહ ઝાલાએ નવી શિક્ષણ નીતિને મૂલ્યો અને સંસ્કૃતિ સાથે વૈજ્ઞાનિક અભિગમને જોડતી ગણાવી.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 6:57 pm

લીમખેડામા શિવસેના નવ યુવક મંડળનો ભવ્ય ગણેશોત્સવ:ગણપતિ બાપાને ભક્તિભાવપૂર્ણ છપ્પન ભોગ ધરાવાયો, મહાઆરતીના ભક્તિમય સંગમથી ભક્તોમા અનેરો ઉત્સાહ

લીમખેડાના ઝાલોદ રોડ ખાતે છેલ્લાં 32 વર્ષથી શિવસેના નવ યુવક મંડળ દ્વારા ગણેશોત્સવની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવે છે. શૈલેષ ગુર્જર, પીન્ટુ પંચાલ, કૌશિક પ્રજાપતિ, આશિષ પંચાલ, વિમલેશ પ્રજાપતિ અને દિનેશ પ્રજાપતિની આગેવાની હેઠળ યુવાનોનું આ સમર્પિત ગ્રૂપ દર વર્ષે આ મહોત્સવને અનુપમ બનાવે છે. આ ઉત્સવ શ્રદ્ધા, ઉત્સાહ અને એકતાનું પ્રતીક બની ગયો છે, જેમાં ફળીયાના દરેક ઘરના સભ્યો ભાગ લે છે. શ્રદ્ધાપૂર્વક ભવ્ય છપ્પન ભોગ અર્પણ કરાયોગણપતિ બાપાને પ્રસન્ન કરવા માટે દરરોજ વિશેષ ભોગ ધરાવવામાં આવે છે, જેમાં ખાસ કરીને ગણેશોત્સવના મુખ્ય દિવસે છપ્પન ભોગનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ છપ્પન ભોગમાં નાની-મોટી વાનગીઓ, મીઠાઈઓ અને પ્રસાદનો સમાવેશ થાય છે, જે શ્રદ્ધાળુઓ દ્વારા પ્રેમ અને ભક્તિથી તૈયાર કરવામાં આવે છે. આ ભોગની રજૂઆત ગણપતિ બાપાના ભક્તો માટે એક દ્રશ્ય અને આધ્યાત્મિક અનુભવ બની રહે છે, જે વાતાવરણને ભક્તિમય બનાવે છે. મહા આરતીનો ભક્તિમય માહોલદરરોજ સાંજે ઝાલોદ રોડ ખાતે ગણપતિ બાપાની મહા આરતીનું આયોજન થાય છે, જેમાં ફળીયાના બાળકો, યુવાનો અને વૃદ્ધો ઉમળકાભેર જોડાય છે. દીવાઓની ઝગમગાટ, ગણેશ મંત્રોનો નાદ અને ભક્તોના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠે છે. આ મહા આરતી દરમિયાન ભક્તોનો માનવ મહેરામણ ઉમટે છે, અને દરેક ઘરના સભ્યો આ પવિત્ર ક્ષણનો ભાગ બનવા અચૂક હાજર રહે છે. આ માહોલ એટલો ભક્તિમય હોય છે કે દરેકનું હૃદય ગણપતિ બાપાની ભક્તિમાં ડૂબી જાય છે. યુવાનોનું સમર્પણ અને આયોજનશિવસેના નવ યુવક મંડળના યુવાનો આ મહોત્સવનું સંપૂર્ણ આયોજન અને સંચાલન કરે છે. ગણપતિ મૂર્તિની સ્થાપનાથી લઈને દરરોજની પૂજા-અર્ચના, છપ્પન ભોગની તૈયારી અને મહા આરતીનું આયોજન એમની નિષ્ઠા અને મહેનતનું પરિણામ છે. આ યુવાનોનો ઉત્સાહ અને શ્રદ્ધા આ ઉત્સવને દર વર્ષે વધુ ભવ્ય બનાવે છે. શૈલેષ ગુર્જર, પીન્ટુ પંચાલ, કૌશિક પ્રજાપતિ, આશિષ પંચાલ, વિમલેશ પ્રજાપતિ અને દિનેશ પ્રજાપતિ જેવા યુવાનોની ટીમ આ પરંપરાને જીવંત રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વિસર્જન અને મહાપ્રસાદીનો ભવ્ય સમારોહગણેશોત્સવનો સમાપન દિવસ એટલે વિસર્જનનો દિવસ ખાસ ભાવવિભોર અને ઉત્સાહથી ભરેલો હોય છે. આ દિવસે ગણપતિ બાપાની ભવ્ય શોભાયાત્રા નીકળે છે, જેમાં ફળીયાના લોકો સાથે આજુબાજુના ભક્તો પણ જોડાય છે. વિસર્જનના દિવસે મહાપ્રસાદીનું આયોજન થાય છે, જેમાં દરેક ભક્ત ગણપતિ બાપાના આશીર્વાદ સાથે પ્રસાદ ગ્રહણ કરે છે. આ મહાપ્રસાદી ફળીયાની એકતા અને ભક્તિનું પ્રતીક બની રહે છે.32 વર્ષની ભક્તિમય પરંપરા યથાવત છે.ઝાલોદ રોડ ખાતે શિવસેના નવ યુવક મંડળ દ્વારા 32 વર્ષથી ચાલતી આ પરંપરા લીમખેડાના લોકો માટે ગૌરવની વાત છે. દર વર્ષે છપ્પન ભોગ અને મહા આરતીના ભવ્ય આયોજનથી આ ઉત્સવ નવો ઉત્સાહ અને શ્રદ્ધા લઈને આવે છે. ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપનાથી લઈને વિસર્જન સુધીની દરેક ક્ષણ ભક્તો માટે અવિસ્મરણીય હોય છે. આ પરંપરા ફક્ત ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ ફળીયાના લોકોની એકતા, શ્રદ્ધા અને સમર્પણનું જીવંત ઉદાહરણ છે.લીમખેડાના ઝાલોદ રોડ ખાતે શિવસેના નવ યુવક મંડળ દ્વારા ઉજવાતો ગણેશોત્સવ શ્રદ્ધા, ઉત્સાહ અને ભક્તિનો અનોખો સંગમ છે. છપ્પન ભોગની ભવ્ય રજૂઆત અને મહા આરતીનો ભક્તિમય માહોલ આ ઉત્સવને ખાસ બનાવે છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 6:55 pm

રાજકોટમાં ઓનલાઈન ગેમીંગનો પહેલો ગુનો નોંધાયો:બુકી માસ્ટર આઈડી ડેવલોપ કરી ગ્રાહકોને ફોરવર્ડ કરતો, મોબાઈલ પ્રિન્ટરમાંથી સ્લીપ મારફત વરલી મટકાના ભાવ આપતો, ત્રણની ધરપકડ

રાજકોટમાં ઓનલાઈન ગેમીંગનો પહેલો ગુનો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. પોલીસે માસ્ટર આઈડી ધારક સહિત મનહરપુરના ત્રણ શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં બુકી અનિશ નટરાજ નામની માસ્ટર આઈડી ડેવલોપ કરી ગ્રાહકોને ફોરવર્ડ કરતો હોવાનું અને મોબાઈલ પ્રિન્ટરમાંથી સ્લીપ મારફત વરલી મટકાના ભાવ આપતો હોવાનું સામે આવ્યું છે. ત્રણ આરોપી પાસેથી 25160નો મુદ્દમાલ કબ્જે કર્યો રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે જામનગર રોડ આઇ.ઓ.સી. ડેપો સામે ત્રણ શખ્સો જાહેરમાં પોતાના મોબાઈલ ફોનમાં એપ્લીકેશન દ્રારા વર્લી ફીચરના આંકડાઓ મોબાઇલ પ્રિન્ટર મારફતે પ્રિન્ટ સ્લીપ આપી જુગાર રમી રમાડે છે તેવી ચોક્કસ બાતમીના આધારે ટીમે દરોડો પાડી નામ પૂછતાં ત્રણેય શખ્સોએ પોતાનું નામ સુમેર સાદીક કુરેશી (ઉ.વ.28), અનીશ ઓસમાણ કુરેશી (ઉ.વ.44) અને મહદમઅલી રફીકભાઈ કુરેશી (ઉ.વ.23) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ત્રણેય શખ્સો પોતાના મોબાઇલ ફોનમાં આંકડા લખી તેની સ્લીપ આપી જુગાર રમાડતા હોવાનું ખુલતાં તેની પાસેથી રોકડ, મોબાઈલ પ્રિન્ટર અને ચાર મોબાઈલ ફોન મળી કુલ રૂ.25160નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઓનલાઈન ગેમિંગ પ્રથમ ગુનો નોંધાયો પોલીસ તપાસમાં ઓનલાઈન વરલી મટકાનો જુગારનો મુખ્ય સૂત્રધાર અનિસ કુરેશી હોવાનું સામે આવ્યું છે. તે પોતે નટરાજ નામની ઓનલાઈન માસ્ટર આઈડી બનાવી અલગ અલગ લોકોને ફોરવર્ડ કરી જુગાર રમાડતો હોવાનું અને બાકીના બે શખ્સો તેના સાગરીત હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ઓનલાઈન ગેમિંગ ગેરકાયદેસર સંસદમાં થયાં બાદ રાજકોટમાં પ્રથમ ગુનો નોંધાયો છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 6:53 pm

વલસાડના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન:વિદ્યાર્થીઓના ભણતર સાથે સમાજના ઘડતરમાં યોગદાન આપનાર 4 શિક્ષકોને એવોર્ડ અપાશે

વલસાડ જિલ્લામાં શિક્ષક દિવસ નિમિત્તે ચાર શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવશે. આ સન્માન સમારોહ 5 સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યે વલસાડની સરસ્વતી ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાશે. રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈ શિક્ષકોને એવોર્ડથી નવાજશે. કપરાડાની ટીસ્કરી જંગલ પ્રાથમિક શાળાના તૃપ્તિબેન પટેલે ઇનોવેટિવ શિક્ષણ પદ્ધતિ અપનાવી છે. તેઓ નાના બાળકોને રમત-ગમત દ્વારા ગુજરાતી અને ગણિત શીખવે છે. વલસાડની મગોદડુંગરી શાળાના ડિમ્પલબેન પટેલે છેલ્લા 16 વર્ષથી ગણિત અને વિજ્ઞાનમાં ઉત્કૃષ્ટ પરિણામો મેળવ્યા છે. ઉમરગામની ગોવાડા શાળાના વિનોદભાઈ ધોડીએ મોડેલ ડે સ્કૂલની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે સમાજશાસ્ત્ર અને ભૂગોળમાં 100% પરિણામ મેળવ્યું છે. ધરમપુરના બી.આર.સી. કો-ઓર્ડિનેટર નેહલબેન ઠાકોરે દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે વિશેષ કાર્ય કર્યું છે. આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાએ 8 અને જિલ્લા કક્ષાએ 4 શિક્ષકોને એવોર્ડ આપવામાં આવશે. આ શિક્ષકોએ માત્ર વિદ્યાર્થીઓને શિક્ષણ જ નહીં, પરંતુ સમાજના ઘડતરમાં પણ મહત્વનું યોગદાન આપ્યું છે. તેઓ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના આદર્શોને અનુસરી વિદ્યાર્થીઓના જીવનમાં માર્ગદર્શક અને પ્રેરણાસ્રોત બન્યા છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 6:50 pm

પાટણના મીઠીવાવડી ગામમાં ચોરી:એક જ રાતમાં વાયર, સ્ટાર્ટર અને કટઆઉટની ચોરી થતાં પોલીસે તપાસ શરૂ કરી

પાટણ તાલુકાના મીઠીવાવડી ગામમાં બે ખેડૂતોના બોરવેલમાંથી વાયર અને સ્ટાર્ટરની ચોરીની ઘટના સામે આવી છે. પ્રવિણભાઈ પટેલ અને નથાભાઈ પટેલના ખેતરમાં આવેલા બોરવેલને નિશાન બનાવવામાં આવ્યા છે. પ્રવિણભાઈ પટેલના બોરમાંથી 24 ફૂટનો કેબલ વાયર અને ત્રણ કટઆઉટની ચોરી થઈ છે. આ સામાનની કિંમત 10,000 રૂપિયા છે. નથાભાઈ પટેલના બોરમાંથી સ્ટાર્ટર, ત્રણ કટઆઉટ અને 24 ફૂટનો કેબલ વાયર ચોરાયા છે. આ સામાનની કિંમત 20,000 રૂપિયા છે. ચોરી 30 ઓગસ્ટની રાત્રે 8 વાગ્યાથી 31 ઓગસ્ટના સવારના 8 વાગ્યા દરમિયાન થઈ છે. તસ્કરે બોરની ઓરડીનો દરવાજો તોડીને ચોરી કરી છે. કુલ 30,000 રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ છે. પ્રવિણ પટેલે પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 6:44 pm

પાટણમાં સગીરા પર દુષ્કર્મ:હોટલમાં લઈ જઈ યુવકે શારીરિક સંબંધ બાંધ્યા, અન્ય આરોપીએ છેડતી કરી; બંને સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો

પાટણ શહેરમાં સગીરા સાથે દુષ્કર્મ અને છેડતીનો કિસ્સો સામે આવ્યો છે. પાટણ એ ડિવિઝન પોલીસે બે આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. ઝુબેર શેખે સગીરાની ઉંમર જાણવા છતાં તેની સાથે મિત્રતા કેળવી હતી. 27 જુલાઈ 2025ના રોજ બપોરે 3 વાગ્યે તે સગીરાને હોટલમાં લઈ ગયો હતો. ત્યાં તેણે સગીરા સાથે બે વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. કેસમાં સંડોવાયેલા બીજા આરોપી સલમાન ફિરોજ પઠાણે વારંવાર સગીરાનો પીછો કર્યો હતો. 30 ઓગસ્ટ 2025ના રોજ તેણે સગીરાનો હાથ પકડીને ખેંચ્યો હતો. સાથે અભદ્ર માંગણીઓ કરી હતી. બંને આરોપીઓએ એકબીજાને ગુનામાં મદદ કરી હતી. સગીરાના વાલીની ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આ કલમોમાં 64(2)(એમ), 74, 75(2), 78(2) અને 54નો સમાવેશ થાય છે. સાથે પોક્સો એક્ટની કલમ 3(એ), 4, 5(એલ), 6, 11(1), 11(4), 12 અને 17 હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 6:24 pm

વાંસદા તાલુકામાં દીપડાનું મોત:ઉપસળ ગામમાં ખેતરમાંથી મૃતદેહ મળ્યો, વન વિભાગે તપાસ શરૂ કરી

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉપસળ ગામમાં એક દીપડાનો મૃતદેહ મળવાની ઘટના સામે આવી છે. દીપડાનો મૃતદેહ ગામના સરપંચ ફળિયામાં આવેલા ખેતરમાંથી મળી આવ્યો હતો. સ્થાનિક લોકોએ તરત જ આ અંગે વન વિભાગના અધિકારીઓને જાણ કરી હતી. વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને દીપડાના મૃતદેહનો કબજો લીધો હતો. વન વિભાગે પશુ ચિકિત્સકને પણ ઘટના સ્થળે બોલાવ્યા હતા. પશુ ચિકિત્સકે દીપડાના મૃતદેહની પ્રાથમિક તપાસ કરી હતી. વન વિભાગના અધિકારીઓએ દીપડાના મૃત્યુનું કારણ જાણવા માટે વિસ્તૃત તપાસ શરૂ કરી છે. આ વિસ્તારમાં દીપડાનું મૃત્યુ કુદરતી છે કે પછી કોઈ અન્ય કારણોસર થયું છે, તે અંગે વન વિભાગ દ્વારા તપાસ ચાલી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 6:21 pm

ચીખલીમાં એસ.ટી. બસની અડફેટે મહિલાનું મોત:રાનકુવા ગામ પાસે મીની બસે મહિલાને ટક્કર મારી, ડ્રાઈવર સામે ગુનો દાખલ

ચીખલી-વાંસદા જાહેર માર્ગ પર રાનકુવા ગામે એક દુર્ઘટના સામે આવી છે. જી.એસ.આર.ટી.સી.ની મીની બસે એક અજાણી મહિલાને અડફેટે લેતાં તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. સ્થાનિક સરપંચ અરવિંદભાઇ હળપતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, બસ નંબર GJ-18-2-2923ના ચાલક રાજેશભાઇ પટેલે વાહન પૂરઝડપે અને બેદરકારીથી હંકાર્યું હતું. બસની જમણી બાજુએ લાગેલી ટક્કરના કારણે મહિલાને માથા અને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. મૃતક મહિલાની ઉંમર 55થી 60 વર્ષની આસપાસ છે. તે મધ્યમ બાંધાની અને ઘઉંવર્ણની હતી. તેની ઊંચાઈ આશરે 5 ફૂટ 1 ઈંચ છે. પોલીસ તેની ઓળખ મેળવવાની કાર્યવાહી કરી રહી છે. ચીખલી પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. બી.સી. ગઢવીએ બસ ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ કલમોમાં 281, 125(એ), 125(બી), 106(1) તેમજ એમ.વી.એક્ટની કલમ-177 અને 184નો સમાવેશ થાય છે. પોલીસ હાલ બસ ચાલકની બેદરકારી અંગે વધુ તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 6:16 pm

યુવા કલાકારના 51 ગણપતિ ચિત્રોનું પ્રદર્શન યોજ્યું:માણાવદરના ચિત્ર કલાકાર જીજ્ઞેશ રતનપરાની અનોખી ભક્તિ, પીપળેશ્વર મહાદેવ મંદિરમાં કલા અને શ્રદ્ધાનું સંગમ

જુનાગઢ જિલ્લાના માણાવદરમાં પીપળેશ્વર મંદિર ખાતે ગણેશ સ્થાપના કરવામાં આવી છે. જેમાં માણાવદર શહેરમાં ભક્તિભાવનો માહોલ છવાયો હતો. આ અવસરે શહેરના યુવા કલાકાર જીજ્ઞેશ રતનપરાએ પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે એક અનોખું કલા પ્રદર્શન યોજીને પોતાની અદ્ભુત કલાનો પરિચય આપ્યો. આ પ્રદર્શનમાં તેમણે ગણપતિ બાપ્પાના 51 અલગ-અલગ સ્વરૂપોના ચિત્રો રજૂ કર્યા હતા, જેને જોવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને કલાપ્રેમીઓ ઉમટી પડ્યા હતા.​ કલાકારની ભક્તિ અને મહેનત સાથેનો અભિગમ​કલાકાર જીજ્ઞેશ રતનપરાએ જણાવ્યું કે, આ પ્રદર્શન માટે મેં છેલ્લા 4થી 5 મહિનાથી સતત તૈયારી કરી હતી. દરેક ચિત્રમાં મેં ગણપતિ બાપ્પાના જુદા જુદા સ્વરૂપોને અલગ થીમ અને કોમર્શિયલ આર્ટ શૈલીમાં રજૂ કર્યા છે, જેથી દરેક ચિત્ર પોતાની આગવી ઓળખ ઊભી કરે. તેમણે ઉમેર્યું કે કળાના માધ્યમથી ભક્તિ વ્યક્ત કરવાનો તેમનો આ પ્રથમ મોટો પ્રયાસ છે અને ભવિષ્યમાં પણ આવા પ્રદર્શન યોજવાની તેમની ઈચ્છા છે. મંદિર ટ્રસ્ટ અને કાર્યકર્તાઓનો પ્રતિસાદ​પીપળેશ્વર મહાદેવ મંદિરના યુવક કાર્યકર વિવેક ભટ્ટે આ પ્રદર્શનને ખૂબ જ લોકપ્રિય ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, જીજ્ઞેશ માત્ર પ્રતિભાશાળી કલાકાર જ નહીં, પરંતુ મંદિરમાં સેવા આપતા યુવા કાર્યકર તરીકે પણ ઓળખાય છે. તેમની કૃતિઓમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે કળાનું સૌંદર્ય સ્પષ્ટ જોવા મળે છે. આ પ્રદર્શનમાં ગણપતિના વિવિધ સ્વરૂપો જેમ કે, વિઘ્નહર્તા, સિદ્ધિવિનાયક, ગૌરીપુત્ર અને લોકકલાના સ્પર્શ ધરાવતા સ્વરૂપો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શન ભક્તિ અને કલા વચ્ચેના સુમેળનું એક સુંદર ઉદાહરણ બન્યું હતું.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 6:09 pm

રો મટીરિયલ ખરીદી કરોડનો ચુનો લગાવ્યો:ડી.એમ.કોર્પોરેશનની મહિલા સંચાલકે સાણંદની મેકલાઇન ફાર્માસ્યુટીકલ્સ સાથે 6.50 કરોડની છેતરપિંડી કરી

અમદાવાદ જિલ્લાના સાણંદ મોરૈયા ખાતે ફાર્માસ્યુટીકલ્સ કંપની ચલાવતા ભૌમિક પટેલને અમદાવાદ દુધેશ્વરના ડી.એમ કોર્પોરેશનના મહિલા સંચાલકે જુદી જુદી દવાના રો-મટિરિયલ મંગાવીને રૂપિયા 6.50 કરોડ નહિ ચુકવી ઠગાઇ કરી હતી. જે અંગે ભૌમિક પટેલે અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ આદરી છે. ઘાટલોડીયા ખાતે રહેતા ભૌમિક રમેશભાઇ પટેલ સણંદના મોરૈયા ખાતે મેકલાઇન ફર્માસ્યુટીકલ્સ નામની ફર્મ ધરાવે છે. તેઓ દવાઓ બનાવડાવી તેના વેચાણનું કામ કરે છે. જ્યારે દવા માટેના રો મટિરિયલનું પણ વેચાણ કરે છે. ભૌમિક પટેલની ફરિયાદ છે કે, તેમના ફર્મના પાર્ટનર નિકિતાબેન પર મે 2022માં દુધેશ્વર ડી.એમ કોર્પોરેશનના પ્રોપરાઇટર શિતલબેન પંચાલનો ફોન આવ્યો હતો. તેમણે પોતે પણ દવાના મટીરીયલનો વેપાર કરતા હોવાનું કહી વાત કરી હતી. જ્યારે આગળ બિઝનેસ થાય તેના માટે પોતાની ઓફિસે બોલાવ્યા હતા. થોડી વાતચીત બાદ તેમણે જુદી જુદી દવાના રો-મટિરિયલનો ઓર્ડર આપ્યો હતો. એકાદ વર્ષમાં તેમણે ભૌમિકભાઇની કંપનીને 13.79 કરોડની દવાઓના ઓર્ડર આપ્યા હતા. જે મટિરિયલ સામે 6.16 કરોડ રૂપિયા ચુકવી પણ દીધા હતા. ત્યાર બાદ ટુકડે ટુકડે 1.12 કરોડની પણ ચુકવણી કરી હતી. જો કે બાકી 6.50 કરોડની ચુકવણી નહિ કરી તેમની સાથે ઠગાઇ કરી હતી. જે અંગે તેમણે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ આદરી છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 6:05 pm

સુરેન્દ્રનગરમાં 76માં વન મહોત્સવની ઉજવણી:નાયબ મુખ્ય દંડકે કહ્યું- 'ગ્લોબલ વોર્મિંગ અને પાણીની અછત જેવા પડકારોનો સામનો કરવા વૃક્ષોનું સંરક્ષણ જરૂરી'

સુરેન્દ્રનગરની એમ.પી.શાહ કોમર્સ કોલેજ ખાતે 76માં વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી યોજાઈ. નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં વૃક્ષારોપણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારાઓનું સન્માન કરવામાં આવ્યું. જગદીશ મકવાણાએ જણાવ્યું કે વર્ષ 1950માં કનૈયાલાલ મુનશીએ વન મહોત્સવની શરૂઆત કરી હતી. તેમણે વૃક્ષોના મહત્વ પર ભાર મૂક્યો. ગ્લોબલ વોર્મિંગ અને પાણીની અછત જેવા પડકારોનો સામનો કરવા વૃક્ષોનું સંરક્ષણ જરૂરી છે. સરકાર 'કેચ ધ રેઈન' જેવા અભિયાનો દ્વારા ભૂગર્ભ જળ સ્તર ઊંચું લાવવાના પ્રયાસો કરી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ખાતે ભક્તિ વન અને દુધરેજ ખાતે વટેશ્વર વન એમ બે સાંસ્કૃતિક વન આવેલા છે. વર્ષ 2004થી શરૂ થયેલા સાંસ્કૃતિક વનોના અભિયાન અંતર્ગત હાલમાં ખેડા ખાતે 24મું સાંસ્કૃતિક વન ગળતેશ્વર વનનું નિર્માણ થયું છે. ગત વર્ષે 'એક પેડ માં કે નામ' અભિયાન હેઠળ રાજ્યમાં 17 કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. વન કવચ, વન કુટિર અને ખેતરના શેઢે વૃક્ષારોપણ જેવા પ્રયાસો દ્વારા રાજ્યમાં હરિયાળી વધારવાનું કામ ચાલી રહ્યું છે. રાજ્યની દરેક વિધાનસભા ક્ષેત્રમાં વન કવચનું નિર્માણ કરવાનું આયોજન છે. વૃક્ષોની ઉપેક્ષાને કારણે પક્ષીઓની જાતો લુપ્ત થઈ રહી છે. આ પડકારોનો સામનો કરવા દરેક વ્યક્તિએ વર્ષે એક વૃક્ષ વાવવાનો સંકલ્પ લેવો જોઈએ. આ પ્રસંગે અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક સી.કે.સોનવણે પર્યાવરણના જતનનું મહત્વ સમજાવતાં, વૃક્ષોનું સંરક્ષણ અને વાવેતર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વૃક્ષો આપણા જીવનનો આધાર છે અને તેમનું રક્ષણ એ આવનારી પેઢીઓ માટે આપણી ફરજ છે. કાર્યક્રમની શરૂઆતમાં અંધજન મંડળની બાળકીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું, જેણે ઉપસ્થિત સૌનું મન મોહી લીધું હતું. ત્યારબાદ, કોલેજના વિદ્યાર્થીઓએ પર્યાવરણના રક્ષણ અને સંવર્ધનના વિષય પર પોતાના પ્રેરણાત્મક વિચારો રજૂ કર્યા. આ ઉપરાંત, કોલેજની બાળાઓએ રાસ-ગરબા જેવી પરંપરાગત અને આકર્ષક કૃતિઓ રજૂ કરી, જેણે ઉપસ્થિત જનોમાં અનેરા ઉત્સાહ અને આનંદનું વાતાવરણ સર્જ્યું હતું. અંતમાં વૃક્ષારોપણ ક્ષેત્રે સારી કામગીરી કરનારા લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ, ધીરુભાઈ સિંધવ, રાજભા ઝાલા, દેવાંગ રાવલ, લોકસાહિત્યકાર અનુભા ગઢવી, વઢવાણ પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ, નાયબ વન સંરક્ષક વિભા ગોસ્વામી, આચાર્ય ડી.આર.વજાણી તેમજ વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 6:04 pm

ગણપતિ મહોત્સવની 18 વર્ષની પરંપરા:નારાયણ ગાર્ડન્સમાં અન્નકૂટ કાર્યક્રમ યોજાયો, ડેપ્યુટી કમિશનર સુરેશ તુવર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા

ગોત્રી વિસ્તારમાં આવેલા નારાયણ ગાર્ડન્સમાં ગણપતિ મહોત્સવ અંતર્ગત ભવ્ય અન્નકૂટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર સુરેશ તુવર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. નારાયણ ગાર્ડન્સમાં છેલ્લા 18 વર્ષથી ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ સોસાયટીના રહીશોએ ભગવાન ગણેશને વિવિધ પ્રકારની વાનગીઓનો અન્નકૂટ ધરાવ્યો હતો. સુંદર રીતે શણગારેલી ગણપતિની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની હતી. ડેપ્યુટી કમિશનર સુરેશ તુવરે આયોજન સમિતિના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે લોકોને એકજૂથ કરવા અને સાંસ્કૃતિક મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે આવા કાર્યક્રમોનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમમાં ભક્તિમય વાતાવરણની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામूહિક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સ્વયંસેવકો અને આયોજન સમિતિના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુંદર વ્યવસ્થા કરી હતી. નારાયણ ગાર્ડન્સમાં યોજાયેલો ગણેશોત્સવ અન્નકૂટ કાર્યક્રમ માત્ર આસ્થાની અભિવ્યક્તિ જ નહીં, પરંતુ વડોદરાની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા અને સામૂહિક ભાગીદારીનું પ્રતીક બની રહ્યો.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 5:59 pm

જામનગર મનપાની સ્થાયી સમિતીની બેઠક:5 લાખ વૃક્ષો વાવવા સહિત 35.47 કરોડના કામોને સ્થાયી સમિતિએ મંજૂરી આપી

જામનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ શહેરના વિકાસ માટે રૂ. 35.47 કરોડના કામોને મંજૂરી આપી છે. સમિતિના ચેરમેન નિલેશ કગથરાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 24 જેટલા વિકાસ કાર્યોને બહાલી આપવામાં આવી છે. જામનગર શહેરના જુદા જુદા સ્થળોએ 13 પ્લોટમાં વૃક્ષારોપણ કરાશે. શહેરમાં કુલ 5 લાખ વૃક્ષો વાવવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવાયો છે. વોર્ડ નંબર 1થી 8માં ડોર-ટુ-ડોર કચરા કલેક્શન માટે રૂ. 9 કરોડની ફાળવણી કરવામાં આવી છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજના કામો માટે રૂ. 4.89 કરોડની કન્સલ્ટન્સી મંજૂર કરવામાં આવી છે. શહેરને વધુ હરિયાળું બનાવવા માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. મિયાવાકી પદ્ધતિથી થીમ ફોરેસ્ટ બનાવવા રૂ. 1.25 કરોડનો ખર્ચ મંજૂર કરાયો છે. સમર્પણ સર્કલ, નવા નાગના, વ્હોરાના હજીરા, લાલપુર ચોકડી અને મહાપ્રભુજી બેઠક પાસે આ થીમ ફોરેસ્ટ વિકસાવવામાં આવશે. દરેક ચોરસ મીટરમાં ત્રણ વૃક્ષો વાવવામાં આવશે. વોર્ડ નંબર 16માં બોક્સ કેનાલના કામ માટે રૂ. 3.98 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ જ વોર્ડમાં ખાનગી સોસાયટીઓ અને હાઉસિંગ બોર્ડમાં લોકભાગીદારીથી સીસી રોડ બનાવવા રૂ. 3.81 કરોડ મંજૂર કરાયા છે. ધારાસભ્ય રિવાબા જાડેજાની ગ્રાન્ટમાંથી 78-વિધાનસભા વિસ્તારમાં રૂ. 2 કરોડના સિવિલ કામો પણ મંજૂર કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 5:55 pm

10 કલાકમાં 125 તાલુકામાં વરસાદ:4 સિસ્ટમ સક્રિય થતા 3 દિવસ ભારે, સુરતમાં પાટીદાર કારખાનેદારની પત્નીનો દીકરા સાથે આપઘાત

10 કલાકમાં રાજ્યના 125 તાલુકામાં વરસાદ આજે (4 સપ્ટેમ્બર) સવારથી રાજ્યાના 125 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 3 ઈંચ તો સૌથી ઓછો ભરૂચના અમોદમાં 1 મિમી વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ ઉપરવાસમાંથી 4 લાખ ક્યુસેક પાણીની આવક થતા નર્મદા ડેમની સપાટી 135.47 મીટર સુધી પહોંચી છે. સરદાર સરોવર ડેમમાં રૂલ લેવલ જાળવવા માટે 3 સપ્ટેમ્બરના રાતથી તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના 15 દરવાજા અને આરબીપીએચ, કેનાલ મારફતે 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં જળસપાટીમાં 10 સેમીનો વધારો નોંધાયો છે. વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો આજે નર્મદા-છોટાઉદેપુર અને ભરૂચમાં રેડ એલર્ટ રાજ્યમાં હાલમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેમાં પૂર્વ ભાગમાં સક્રિય થયેલ લો પ્રેશર સિસ્ટમ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, ટ્રફ લાઈન અને મોન્સૂન ટ્રફનો સમાવેશ થાય છે. આ સિસ્ટમ્સને કારણે ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે. આજે નર્મદા, છોટાઉદેપુર અને ભરૂચમાં વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો અમદાવાદ-મુંબઈ હાઇ-વે પર 15 કિ.મી.નો ટ્રાફિકજામ વડોદરા શહેર નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈ-વે પર આવેલા જાંબુવા બ્રિજ પર ફરી એકવાર 15 કિ.મી. લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. જેના કારણે વાહનચાલકો છેલ્લા કલાકોથી ટ્રાફિકજામમાં ફસાઇ ગયા છે. આ ટ્રાફિકમાં એમ્બ્યુલન્સો પણ ફસાઇ ગઈ હતી. જાંબુવાથી લઇને પુનિયાદ સુધી વાહનોની લાંબી-લાંબી કતારો લાગી ગઈ છે. આ ટ્રાફિકજામના દૃશ્યો ડ્રોન કેમેરામાં કેદ થઈ ગયા છે. ટ્રાફિકજામની આ રોજિંદી સમસ્યાથી લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે. વારંવાર ખાડા પૂરવાની કામગીરી છતાં વરસાદને કારણે ફરી ખાડા પડી જતા હોવાથી આ સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવતું નથી, જેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો પાટીદાર કારખાનેદારની પત્નીનો દીકરા સાથે આપઘાત સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા માર્તન્ડ હિલ્સ બિલ્ડિંગની A વિંગમાં રહેતા લૂમ્સના કારખાનેદારની પત્નીએ બે વર્ષના પુત્ર સાથે આપઘાત કરી લીધો છે. પટેલ પરિણીતા તેમની A વિંગમાંથી C વિંગમાં ગઈ હતી, જ્યાં 13મા માળેથી પહેલા પુત્રને ફેંક્યો અને 12 સેકન્ડ બાદ તે પણ કૂદી ગઈ હતી. માતા અને પુત્ર સોસાયટીમાં સ્થાપિત ગણપતિ દાદાની મૂર્તિથી માત્ર 20 ફૂટ જેટલા જ અંતરે પડ્યાં હતાં. જ્યારે માતા અને પુત્ર વચ્ચે 8-10 ફૂટનું અંતર હતું. આ ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. હાલ મામલતદારની હાજરી અને ડોક્ટરો દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. આ ઘટના પહેલાં માતા અને દીકરો 13મા માળે લિફ્ટમાં જતાં હોવાના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો LCBએ ચલણી નોટો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો ​ડીસા તાલુકાના મહાદેવિયા ગામથી બનાસકાંઠા પોલીસની સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ એક મોટી કાર્યવાહી કરીને નકલી ભારતીય ચલણી નોટો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. મોડીરાત્રે પાડવામાં આવેલા દરોડામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે અને તેમની પાસેથી રૂપિયા 40 લાખથી વધુની નકલી નોટો તેમજ એને બનાવવા માટેનાં સાધનો જપ્ત કર્યા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો હોમગાર્ડના ઓફિસર દારૂની ખેપ મારતાં ઝડપાયા અંબાજી ભાદરવી પૂનમના મેળામાં બંદોબસ્ત માટે ગયેલા બોટાદ હોમગાર્ડના કમાન્ડિંગ ઓફિસર અને બે જવાન પરત ફરતાં સમયે સરકારી વાહનમાં દારુ સાથે ઝડપાતાં ચકચાર મચી છે. કમાન્ડિંગ ઓફિસર દશરથ ચૌહાણ અને હોમગાર્ડ જવાન દિલીપ સોલંકી અને પ્રશાંત ચૌહાણે સરકારી વાહનમાં આબુથી દારુ અને બિયરનો જથ્થો ભર્યો હતો. બોટાદ પહોંચતાં જ LCBએ પૂર્વ બાતમીના આધારે ત્રણેયને ઝડપી પાડ્યા હતા. હાલ પોલીસે આ ત્રણેય પાસેથી કુલ ₹1 લાખ આસપાસનો મુદ્દામાલ કબ્જે કરી, ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ખુરશીને જૂતાનો હાર પહેરાવી અધિકારીને કામ ચોરીનો એવોર્ડ વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા તાંદલજા વિસ્તારમાં વોર્ડ 10માં આવેલ ખુશ્બુનગર રહેમતનગર આતિફ નગર તમામ વિસ્તારના ખરાબ રસ્તાઓ અને ખાડાઓથી પરેશાન થતા રહીશો દ્વારા વોર્ડ કચેરી ખાતે ઉગ્ર નારેબાજી સાથે વિરોધ નોંધાવ્યો હતો. વારંવાર રહીશો દ્વારા રજૂઆત છતાં અધિકારી સંભાળતો ન હોવાથી આજે અધિકારીની ખુરશી પર જૂતાનો હાર પહેરાવી વિરોધ દર્શાવ્યો હતો અને નારેબાજી સાથે આ અધિકારીને સસ્પેન્ડ કરવા માંગ કરી હતી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો રોશનીથી ઝળહળી ઊઠ્યું અંબાજી ધામ ભાદરવી પૂનમના મહાકુંભને કારણે શક્તિપીઠ અંબાજી ધામ રોશનીથી ઝળહળી ઊઠ્યું છે. મંદિર અને એની આસપાસના માર્ગોને રંગબેરંગી લાઇટિંગ અને સુંદર શણગારથી સજાવવામાં આવ્યાં છે. એના કારણે રાત્રિના સમયે અદભુત અને અલૌકિક દૃશ્યો સર્જાયાં છે. ડ્રોન વીડિયોમાં મા અંબાનું ધામ અત્યંત ભવ્ય અને દિવ્ય લાગી રહ્યું છે, જે જોઈને લાખો ભક્તો આનંદની લાગણી અનુભવી રહ્યા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સચિવાલયના GAS કેડરના અધિકારીએ આપઘાત કર્યો અમદાવાદમાં વસ્ત્રાપુર સરકારી વસાહતમાં સચિવાલયના GAS કેડરના અધિકારીએ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. મનોજકુમાર પોપટલાલ પૂજારા ગાંધીનગર સચિવાલયમાં GAS કેડર તરીકે ફરજ બજાવતા હતા. પ્રાથમિક તપાસમાં મૃતક અધિકારીએ એકલતાના કારણે આત્મહત્યા કરી હોવાની આશંકા છે. હાલ તો વસ્ત્રાપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધી વધુ તપાસ શરૂ કરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો કચ્છમાં 8 દિવસમાં 4 હત્યા થઈ કચ્છમાં 8 દિવસમાં 4 હત્યા થઈ. આજે પણ મુન્દ્રામાં સંબંધીના ઘરે આવેલા યુવકની કપાયા નજીકથી લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા કચ્છમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠ્યા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 5:55 pm

વડતાલધામમાં શિક્ષાપત્રી વિષયક રાષ્ટ્રીય સેમિનાર શરૂ:ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ સહિત વિદ્વાનોએ શિક્ષાપત્રીના મહત્વ પર કર્યું ચિંતન

સરદાર પટેલ યુનિવર્સિટી અને સ્વામિનારાયણ મંદિર વડતાલના સંયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય રાષ્ટ્રીય સેમિનારનો પ્રારંભ થયો છે. આ સેમિનાર 4થી 6 તારીખ સુધી ચાલશે. વડતાલધામના ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત થઈ. ડો. સંતવલ્લભદાસ સ્વામીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. સંતો-મહંતોએ આચાર્ય મહારાજ અને અતિથિઓનું અભિવાદન કર્યું. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાએ શિક્ષાપત્રીને જીવનની આચારસંહિતા ગણાવી. તેમણે શિક્ષાપત્રીની વર્તમાન સમયની જરૂરિયાત વિશે માર્ગદર્શન આપ્યું. વર્ધાના પૂર્વ કુલપતિ રજનીશ શુક્લજીએ શિક્ષાપત્રીના શ્લોકોને મંત્રવત્ ગણાવ્યા. ડો. બળવંતભાઈ જાનીએ શિક્ષાપત્રીના સિદ્ધાંતોની વિશ્વના અન્ય ધર્મો સાથે તુલના કરી. તેમણે જણાવ્યું કે શિક્ષાપત્રીના મૂલ્યોના આધારે સંપ્રદાય સૌથી વધુ સર્વગ્રાહી બની રહ્યો છે. કાર્યક્રમમાં એસપીયુના ઉપકુલપતિ નિરંજનભાઈ પટેલ, કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામી, શ્રી નૌતમપ્રકાશ સ્વામી, ગોધરાના ઉપકુલપતિ ડો. રમેશ કટારિયા અને શૈલેષભાઈ સાવલિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. સચિન શર્માએ કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 5:53 pm

શિક્ષક દિવસની અનોખી ઉજવણી:એમ.સી. શાહ કોલેજમાં 25 વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવી

પ્રિ. એમ.સી. શાહ કોમર્સ કોલેજના NSS યુનિટે 4 સપ્ટેમ્બર 2025ના રોજ શિક્ષક દિવસની અનોખી રીતે ઉજવણી કરી. કોલેજની અનોખી પહેલ અંતર્ગત 25 વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા નિભાવી. વિદ્યાર્થીઓએ વિવિધ વર્ગખંડોમાં વ્યાખ્યાનો આપ્યા. આ પહેલે વિદ્યાર્થીઓને શિક્ષણ વ્યવસાયની જવાબદારીઓ અને પડકારોને નજીકથી સમજવાની તક પૂરી પાડી. કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થી-શિક્ષકોને તેમના પ્રયાસો માટે પુરસ્કારો અને પ્રમાણપત્રોથી સન્માનિત કરવામાં આવ્યા. NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. જનક કવૈયાએ કાર્યક્રમનું સંકલન કર્યું. પ્રિન્સિપાલ ડૉ. એન.ડી. શાહના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમ આભારવિધિ સાથે સંપન્ન થયો. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો માટે યાદગાર બની રહ્યો.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 5:46 pm

CEPTના વિદ્યાર્થીઓની આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ:ઑસ્ટ્રેલિયામાં યોજાયેલી બિલ્ડિંગ પર્ફોર્મન્સ સિમ્યુલેશન સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું

અમદાવાદની CEPT યુનિવર્સિટીએ આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી સફળતા હાંસલ કરી છે. યુનિવર્સિટીના માસ્ટર્સ ઇન બિલ્ડિંગ એનર્જી પર્ફોર્મન્સ કાર્યક્રમના વિદ્યાર્થીઓએ બ્રિસ્બેન, ઑસ્ટ્રેલિયામાં યોજાયેલી સ્ટુડન્ટ મોડેલિંગ કોમ્પિટિશન 2025માં પ્રથમ સ્થાન મેળવ્યું છે. વિશ્વભરની 40 ટીમો વચ્ચે CEPTની ટીમે અમેરિકાની કાર્નેગી મેલોન યુનિવર્સિટીને પાછળ રાખી વિજેતા બની છે. આ ટીમ સતત બીજી વખત વિજેતા બની છે અને ત્રીજી વખત ફાઇનલમાં પહોંચી છે. વિજેતા ટીમમાં આકર્ષણા એ.કે., નિયતિ જોગી, સમીક્ષા ભારદ્વાજ, શ્વેતા આર, વાસુદેવ પંડ્યા અને વિશાલ યાદવનો સમાવેશ થાય છે. પ્રો. રાજન રાવલ, પ્રો. મીનુ અગ્રવાલ, સિદ્ધિ વાશી અને મલય દવેએ ટીમને માર્ગદર્શન આપ્યું હતું. સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ન્યૂ સાઉથ વેલ્સના બુંડન આર્ટ મ્યુઝિયમ માટે ઊર્જા કાર્યક્ષમતાનું વિશ્લેષણ કર્યું હતું. ટીમે રજૂ કરેલા સોલ્યુશન્સથી અસુવિધાજનક કલાકોમાં 94 ટકાનો ઘટાડો થશે. એક્ટિવ હીટિંગની જરૂરિયાત વર્ષમાં માત્ર 27 કલાક સુધી મર્યાદિત થશે. ટીમે HVAC ઊર્જા વપરાશમાં 54 ટકાનો ઘટાડો સૂચવ્યો છે. 303kW સોલાર પીવી સિસ્ટમની ડિઝાઇન દ્વારા ગેલેરીની વાર્ષિક ઊર્જા જરૂરિયાત કરતાં ત્રણ ગણી ઊર્જા ઉત્પન્ન થશે. ઇમારતના બાહ્ય ભાગમાં 30.7 ટકા કાર્બન ઘટાડવાની યોજના પણ રજૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 5:40 pm

કડાણા ડેમમાંથી પાણી છોડાતા તાત્રોલી હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં કટોકટી:5 કર્મચારીઓ મહીસાગર નદીમાં લાપતા, પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે; બચાવ કામગીરી શરૂ

મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી 2.5 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે. આ કારણે તાત્રોલી પાસે આવેલા હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો છે. પ્રોજેક્ટમાં કામ કરી રહેલા પાંચ કર્મચારીઓ પ્લાન્ટના કૂવામાં લાપતા થયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં જ લુણાવાડાના કીડીઓ, મામલતદાર અને ટાઉન પીઆઇ સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો છે. બચાવ કામગીરી માટે લુણાવાડા ફાયર વિભાગ, 108 એમ્બ્યુલન્સ અને એસટીઆરએફની ટીમ પણ સ્થળ પર હાજર છે. એસબીઆરએફ દ્વારા લાપતા કર્મચારીઓની શોધખોળ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. બચાવ કામગીરીમાં જોડાયેલી તમામ એજન્સીઓ લાપતા કર્મચારીઓને શોધવા માટે સંકલિત પ્રયાસો કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 5:36 pm

ઈદે મિલાદ પર ચોટીલામાં શૈક્ષણિક કાર્યક્રમ:અલ-નુર એજ્યુકેશન કમિટી દ્વારા વિદ્યાર્થીઓનું શીલ્ડ અને ઇનામથી સન્માન

ચોટીલામાં ઈદે મિલાદુન નબીના તહેવાર નિમિત્તે અલ-નુર એજ્યુકેશન કમિટી દ્વારા વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. અલ મદીના પાર્ક સોસાયટી, ઘાંચીવાડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં અનેક વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં મદ્રેસામાં દીની તાલીમ મેળવતા વિદ્યાર્થીઓથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધીના વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યા. આમાં ધોરણ 1થી લઈને બી.કોમ., એલએલ.બી. અને ડૉક્ટરેટ સુધીના વિદ્યાર્થીઓનો સમાવેશ થયો. દરેક વિદ્યાર્થીને શીલ્ડ અને ઇનામ આપીને તેમની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવામાં આવી. ચોટીલાની જુમ્મા મસ્જિદના પેશ ઇમામ તોશીફ બાપુએ કાર્યક્રમમાં ધાર્મિક અને આધુનિક શિક્ષણનું મહત્વ સમજાવ્યું. તેમના પ્રેરક પ્રવચનથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું. સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં અલ-નુર એજ્યુકેશન કમિટીએ આ કાર્યક્રમને સફળતાપૂર્વક સંપન્ન કર્યો.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 5:35 pm

વિદ્યાર્થીઓને જાહેર માર્ગો પર વૃક્ષો વાવવા અપીલ:ડેસરમાં જગદીશ વિશ્વકર્માની હાજરીમાં વડોદરાનો જિલ્લા કક્ષાનો 76મો વન મહોત્સવ ઉજવાયો, પર્યાવરણ પ્રેમીઓ અને વનકર્મીઓનું સન્માન કરાયું

વડોદરામાં વન વિભાગ દ્વારા ડેસર સ્થિત સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ખાતે ગુજરાત રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના 76મા વન મહોત્સવ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત મહાનુભાવોના હસ્તે યુનિવર્સિટીના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના ઉદ્યોગ, માઇક્રો, સ્મોલ અને મિડિયમ ઉદ્યોગ, ખાણ અને ખનીજ મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, આજથી 76 વર્ષ પહેલા કનૈયાલાલ મુનશીએ વન મહોત્સવની શરૂઆત કરાવી હતી. એ પરંપરાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમયમાં વેગ મળ્યો છે. વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યમાં અનેક સાંસ્કૃતિક વનો પણ નિર્માણ પામ્યા છે જે આધ્યાત્મ, સંસ્કૃતિ અને પર્યાવરણના ઉત્કૃષ્ઠ ઉદાહરણ બન્યા છે. વધુમાં ઉમેરતાં મંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ક્લાયમેટ ચેન્જને નાથવા માટે 'મિશન લાઇફ' અને એક પેડ માં કે નામ અભિયાનનું આહવાન કર્યું છે. આ પહેલ માત્ર પોતાની મા માટે વૃક્ષ વાવવાની નથી પરંતુ ભવિષ્યની પેઢી માટે સ્વચ્છ અને સુંદર વાતાવરણ આપવાની પણ છે. તેમણે પ્રેરક સૂચન કરતા વધુમાં ઉમેર્યું કે, મંત્રીએ હાજર નાગરિકો અને વિદ્યાર્થીઓને પોતાના ગામની આસપાસના જાહેર માર્ગો પર વૃક્ષો વાવીને માર્ગોને હરિયાળા બનાવવામાં માટે અપીલ કરી હતી. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને સંબોધીને કહ્યું કે, યુનિવર્સિટીના કેમ્પસમાં તમામ વિદ્યાર્થીઓના હસ્તે વૃક્ષારોપણ કરાવવામાં આવે, યુનિવર્સિટીની દરેક વ્યક્તિ એક વૃક્ષ દત્તક લે અને યુનિવર્સિટીમાં ભણતા દરેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને પોતાના ક્ષેત્રમાં આગળ વધે તે સાથે પર્યાવરણ સંવર્ધનમાં પણ પોતાનું યોગદાન આપે તે બાબત પર ભાર આપે તે જરૂરી છે. કાર્યક્રમ દરમિયાન સાવલીના ધારાસભ્ય કેતનઇનામદારે પણ પર્યાવરણ સંરક્ષણના મહત્ત્વ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે વૃક્ષારોપણને માત્ર એક દિવસની પ્રવૃત્તિ ન રાખીને સતત સંભાળ અને જતન સાથે જીવનશૈલીનો ભાગ બનાવવા પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં વન વિભાગના લાભાર્થી, સખી મંડળો અને અન્ય લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, વૃક્ષપ્રેમીઓ, સામાજિક વનીકરણ, નર્સરી સંચાલકો, વન્યજીવોની બચાવ કામગીરી, ગાર્ડનિંગ અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓ અને નાગરિકોને પ્રશસ્તિ પત્ર અને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના પ્રાંગણમાં ઉપસ્થિત તેમના મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહીડા, વડોદરા જિલ્લાના સાંસદ ડૉ. હેમાંગ જોશી, ધારાસભ્ય કેતન ઇનામદાર, ધારાસભ્ય કેયુરરોકડિયા, જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મનીષ રાવલ, નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, વન વિભાગના અધિકારીઓ, કર્મચારીગણ, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 5:30 pm

જિલ્લા કક્ષાનો 76મો વન મહોત્સવ:આણંદ જિલ્લામાં કુદરતી જંગલો વિના પણ રાજ્યમાં સૌથી વધુ પ્રતિ હેક્ટર વૃક્ષારોપણનો રેકોર્ડ

થામણા ગામે યોજાયેલા આણંદ જિલ્લાના વન મહોત્સવમાં નાયબ મુખ્ય દંડક રમણ સોલંકીની ઉપસ્થિતિમાં વૃક્ષરથને લીલી ઝંડી આપવામાં આવી હતી. શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. નાયબ મુખ્ય દંડકે જણાવ્યું કે ભારતમાં વન મહોત્સવની શરૂઆત 1950માં કનૈયાલાલ મુનશી દ્વારા કરવામાં આવી હતી. આણંદ જિલ્લામાં કુદરતી જંગલો ન હોવા છતાં, સામાજિક વનીકરણ થકી ગુજરાતમાં સૌથી વધુ પ્રતિ હેક્ટર વૃક્ષારોપણનો રેકોર્ડ છે. વન વિભાગના જણાવ્યા મુજબ, જિલ્લામાં આઠ વન કવચ, ત્રણ પવિત્ર ઉપવન અને બે અર્બન ફોરેસ્ટ યોજના હેઠળ એક લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલા એક પેડ મા કે નામ 2.0 અભિયાન અંતર્ગત 2024-25માં 10 કરોડથી વધુ લોકોએ માતાના નામે વૃક્ષો વાવ્યા છે. આણંદ જિલ્લામાં 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી શાળાઓ, વિવિધ સંસ્થાઓ અને સરકારી કચેરીઓમાં વિશેષ વૃક્ષારોપણ અભિયાન યોજાશે. જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ મિશન લાઈફ અંતર્ગત શાળાઓમાં સેમિનાર યોજવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં ઉમરેઠ તાલુકાના અગ્રણીઓ, વન વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 5:29 pm

નયન 6 મિનિટ સુધી કણસતો રહ્યા બાદ સ્કૂલને ભાન થયું:વધુ એક વીડિયો, માતા દીકરાને રિક્ષામાં લઈ ગઈ તેની 1 મિનિટ પહેલા જ એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો

અમદાવાદના ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધો. 10ના વિદ્યાર્થીની નયનની હત્યા મામલે પરિવારજનો દ્વારા વિદ્યાર્થીને બચાવવા સ્કૂલે ગંભીર બેદરકારી દાખવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા, ત્યારે આ આક્ષેપો સામે સ્કૂલ પોતાના બચાવમાં દાવા કરી રહી છે અને વાલીઓના ગ્રુપમાં પણ સ્કૂલની ભૂલ ન હોવાના મેસેજ કર્યા હતા. જોકે, આ સમગ્ર મામલે સ્કૂલના સીસીટીવી ફૂટેજ સામે આવતા તેમાં સ્પષ્ટ થાય છે કે ઇજાગ્રસ્ત હાલતમાં નયન 7 મિનિટ સુધી સ્કૂલની અંદર હતો. આ દરમિયાન નયન દર્દથી કણસતો રહ્યો પરંતુ સ્કૂલ દ્વારા તેની કોઇ પ્રકારે મદદ કરવામાં આવી ન હતી. જોકે, 12:59 કલાકે અન્ય વિદ્યાર્થીઓ અને પરિવારજનોએ જ્યારે નયનને હોસ્પિટલ લઈ જવાની તૈયારી કરી, ત્યારે છેલ્લે છેલ્લે સ્કૂલ દ્વારા તે જ સમયે 108ને ફોન કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ 1:11 વાગ્યે એમ્બ્યુલન્સ સ્કૂલે પહોંચી હતી. આ પણ વાંચો:- લોહી નીતરતી હાલતમાં નયન સ્કૂલમાં આવ્યો, પહેલીવાર સામે આવ્યા CCTV ઇજાગ્રસ્ત હાલતમાં નયન સ્કૂલમાં પ્રવેશ્યોCCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે 19 ઓગસ્ટના રોજ બપોરે 12:53 કલાકે પીળા કલરની ટીશર્ટ અને વ્હાઈટ પેન્ટમાં નયન સ્કૂલના ગેટમાં અંદર આવે છે. નયન સાથે સ્કૂલના ત્રણથી ચાર છોકરા પણ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન નયનને પેટના ભાગે જ્યાં બોક્સ કટર વાગ્યું હતું ત્યાંથી લોહી નીકળી રહ્યું છે અને એ ભાગને નયને હાથથી દબાવી રાખ્યો હતો. ઇજાગ્રસ્ત હોવાના કારણે નયન સરખું ચાલી પણ શકતો નહોતો. 12:54 કલાકે સ્કૂલના સિક્યોરિટી ગાર્ડને આ અંગે જાણ થતાં તે નયન તરફ દોડી જાય છે. જાય છે. આ સમયે વિદ્યાર્થીઓની ખૂબ અવરજવર થઈ રહી હતી. આ પણ વાંચો: સ્ટુડન્ટના પેટમાં છરી નહીં, ફિઝિક્સનું સાધન ભોંક્યું: નજરે જોનારનો દાવો સ્કૂલનો સ્ટાફ હાજર હોવા છતાં મદદ કરવામાં ન આવીઆ દરમિયાન ત્યાં હાજર વિદ્યાર્થીઓને ખબર પડતાં દોડધામ મચી જાય છે અને વિદ્યાર્થીઓ નયન તરફ દોડી જાય છે, ત્યારે ત્યાં સિક્યોરિટી ગાર્ડ આવી પહોંચે છે અને લાકડી બતાવીને વિદ્યાર્થીઓને દૂર ભગાડવાનો પ્રયાસ કરે છે. CCTVમાં નયન જ્યાં ફસડાઈ પડ્યો હતો એ જગ્યા દેખાતી નથી, પણ વિદ્યાર્થીઓ તેને ઘેરી વળે છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે. આ સમયે સ્કૂલ સ્ટાફના કેટલાક માણસો પણ CCTVમાં દેખાય છે. જોકે સ્કૂલનો સ્ટાફ ત્યાં હાજર હોવા છતાં તેઓ નયનને પ્રાથમિક સારવાર આપવાની કે હોસ્પિટલ ખસેડવાની તસદી લેતો નથી. આ પણ વાંચો: અગાઉ ઝઘડો થતાં શિક્ષકોએ કહ્યું હતું, 'એકબીજાને સોરી બોલી દો’, સેવન્થ ડે સ્કૂલે કર્યો હતો ઢાંકપિછોડો 12:59 કલાકે સ્કૂલે 108ને જાણ કરી હતીજોક, છેકે 7 મિનિટ બાદ એટલે કે 1 વાગ્યે બે મહિલા દોડતી દોડતી ગેટમાં પ્રવેશ છે અને નયન પાસે પહોંચે છે. એ વખતે હાજર વિદ્યાર્થીઓ દ્વારા નયનને ઊંચકીને ગેટ બહાર લઈ જઈ એક રિક્ષામાં બેસાડીને હોસ્પિટલ ખસેડવામાં આવે છે. જોકે, શરૂઆતની 6 મિનિટમાં સ્કૂલે 108ને જાણ કરી નહોતી. 12:59 કલાકે સ્કૂલે 108ને જાણ કરી હતી. ત્યાર બાદ એમ્બ્યુલન્સ 1:11 કલાકે સ્કૂલમાં પહોંચી હતી. કોલ મળ્યાના 12 મિનિટે એમ્બ્યુલન્સ સ્કૂલમાં પહોંચી હતી જે 1 મિનિટમાં નયન ન હોવાથી પરત ફરી હતી. સ્કૂલમાં 1:12 કલાકે પણ પોલીસકર્મી પહોંચ્યા હતા. જોકે, સમગ્ર મામલે સ્કૂલની બેદરકારી સામે આવી છે. સ્કૂલે 108ને વહેલા જાણ કરી હોત તો 108માં પણ નયનને પ્રાથમિક સારવાર મળી શકી હોત. આ પણ વાંચો: સ્કૂલ સ્ટાફને માર મારી બેફામ તોડફોડ, સેવન્થ ડે સ્કૂલના ધો.8ના વિદ્યાર્થીએ ધો-10ના સ્ટુડન્ટની હત્યા કરતા સ્થિતિ વણસી હતી શું હતી ઘટના?અમદાવાદમાં 19 ઓગસ્ટને મંગળવારે ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી નજીવી બાબતમાં ધો-10ના વિદ્યાર્થીએ ધો-10ના સ્ટુડન્ટને બોક્સ કટર મારી દીધું હતી. ત્યાર બાદ 20 ઓગસ્ટને બુધવારની સવારે મણિનગરની હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનું મોત થઈ ગયું હતું, જેને પગલે બાળકનાં પરિવારજનોએ સ્કૂલે પહોંચી પ્રિન્સિપાલ સહિતના સ્ટાફને માર મારી તોડફોડ કરી હતી. આ ઉપરાંત સ્કૂલે દોડી આવેલા 2000 જેટલા લોકોએ 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી, એટલે કે 4 કલાક સ્કૂલ આસપાસના વિસ્તારને બાનમાં લીધા હતા. ઉલ્લેખનીય છે કે સગીર આરોપી વિદ્યાર્થી શાહઆલમનો રહેવાસી છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 5:25 pm

નવસારીની આદિવાસી શાળામાં બેગ લેસ ડેની અનોખી પહેલ:વિદ્યાર્થીઓએ વારલી પેઇન્ટિંગ શીખી, સાંસ્કૃતિક વારસાને જીવંત રાખ્યો

નવી શિક્ષણ નીતિ અંતર્ગત શાળાઓમાં દર શનિવારે બેગ લેસ ડેની શરૂઆત કરવામાં આવી છે. નવસારીના વાંસદા તાલુકાના મિયાઝરી ગામની પ્રાથમિક શાળાએ આ દિવસને વિશેષ બનાવ્યો છે. શાળાની શિક્ષિકાઓ દર્શના પટેલ અને વૈશાલી પટેલે વિદ્યાર્થીઓને વારલી પેઇન્ટિંગ શીખવવાનું નક્કી કર્યું હતું. શિક્ષિકાઓએ પહેલા પોતે વારલી પેઇન્ટિંગની તાલીમ મેળવી. ત્યારબાદ શાળામાં રહેલા જૂના શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરીને ફ્રેમ બનાવ્યા. વ્હાઈટ સિમેન્ટથી કોન બનાવવાની પદ્ધતિ વિદ્યાર્થીઓને શીખવાડી. આ કોનનો ઉપયોગ કરીને વારલી પેઇન્ટિંગની કળા શીખવાડવામાં આવી હતી. ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓમાં આ પ્રવૃત્તિએ ભારે ઉત્સાહ જગાવ્યો છે. વિદ્યાર્થીઓ હવે શનિવારની આતુરતાથી રાહ જુએ છે. તેઓ એકાગ્રતાથી વારલી પેઇન્ટિંગ બનાવે છે. આજે આ વિદ્યાર્થીઓ પોતાની સાંસ્કૃતિક ધરોહર સમાન વારલી પેઇન્ટિંગના કુશળ કલાકાર બની ગયા છે. આ પહેલ દ્વારા વિદ્યાર્થીઓમાં કૌશલ્ય વિકાસની સાથે સાથે તેમની સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિનો પણ વિકાસ થઈ રહ્યો છે. બેગ લેસ ડે વિદ્યાર્થીઓને ભણતરના ભારથી મુક્ત કરી, તેમને રચનાત્મક પ્રવૃત્તિઓ તરફ વાળવામાં સફળ રહ્યો છે. મિયાઝરીની શિક્ષિકાઓએ વિદ્યાર્થીને કૌશલ્ય શીખવવા પોતે વારલી પેઇન્ટિંગ શીખી, એમાં નિપુણતા મેળવી અને જ્યારે બાળકોને વારલી ચિત્રકારીમાં પારંગત બનાવી દીધા છે. વિદ્યાર્થીઓ વારલી પેઇન્ટિંગ બનાવતા એકાગ્ર બન્યા છે, જેનું પરિણામ તેમના અભ્યાસમાં પણ મળ્યું છે. વિદ્યાર્થીઓ વાંચન, લેખન અને ગણનમાં એકાગ્ર ચિત્ત થયા છે. જેથી પરીક્ષામાં પરિણામ સુધાર્યુ છે. જ્યારે વાલીઓને પણ આદિવાસી સંસ્કૃતિનું જતન બાળકો નાનપણથી કરતા થયા એની ખુશી છે. સાથે શિક્ષકો અભ્યાસ સાથે બાળકોને પ્રવૃત્તિઓમાં પણ કેળવી રહ્યા છે, એની સરાહના પણ કરી રહ્યા છે. આદિવાસી પટ્ટાની અંતરિયાળ મિયાઝરી પ્રાથમિક શાળાની શિક્ષિકાઓએ બાળકોને અભ્યાસ સાથે કૌશલ્ય તાલીમ આપી ભવિષ્યમાં તેના પગપર ઉભા રહી શકે એની સક્ષમતા આપવાનો પ્રયાસ કર્યો છે, જે આજના યુગમાં પ્રશંસનીય કાર્ય છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 5:20 pm

ખોરસમમાં ગટરના પાણીની સમસ્યા:200થી વધુ પરિવારોના મુખ્ય રસ્તા પર ગંદા પાણીથી લોકો પરેશાન, સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો

ચાણસ્મા તાલુકાના ખોરસમ ગામમાં ઠાકોર વાસ અને અનુસુચિત જાતિના મહોલ્લામાં ગંભીર સમસ્યા સર્જાઈ છે. આ વિસ્તારમાં રહેતા 200થી વધુ પરિવારોના મુખ્ય રસ્તા પર ગટરનું પાણી ભરાઈ જવાથી લોકોની હાલત કફોડી બની છે. આ રસ્તો ત્રણેય મહોલ્લાના બાળકોને શાળા જવા, ખેડૂતોને ખેતીકામ માટે અને મહિલાઓને ઘાસચારો લાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. છેલ્લા કેટલાક સમયથી આ રસ્તા પર ગટરનું દૂષિત પાણી ભરાઈ જતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહોલ્લાવાસીઓના જણાવ્યા અનુસાર, તેમણે આ સમસ્યાના નિવારણ માટે ગ્રામ પંચાયત, તાલુકા વિકાસ અધિકારી અને કલેક્ટરને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ગુરુવારે બપોરે ત્રણેય મહોલ્લાની મહિલાઓએ આ સમસ્યાના વિરોધમાં છાજીયા લઈને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોએ ચિંતા વ્યક્ત કરી છે કે, ગટરના દૂષિત પાણી અને દુર્ગંધને કારણે રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે. આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 5:16 pm

ચૈતર વસાવા પોલીસ જાપ્તા વગર વિધાનસભા સત્રમાં ઉપસ્થિત રહેશે:હાઈકોર્ટે નર્મદા સેશન્સ કોર્ટના હુકમની શરતને બદલી, સભા, રેલી કે મીડિયાને સંબોધન કરી શકશે નહીં

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ડેડીયાપાડા પોલીસ મથકે ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ અપશબ્દો બોલવા, માર મારવો, તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા જેવા ગુના અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ચૈતર વસાવાએ મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેને નકારી દેવાતા તેમણે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. તેની ઉપર 11મી સપ્ટેમ્બર ના રોજ સુનાવણી યોજાનાર છે. જો કે આ દરમિયાન આગામી સમયમાં 08 થી 10 સપ્ટેમ્બર એમ કુલ ત્રણ દિવસ વિધાનસભા સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. ચૈતર વસાવા જન પ્રતિનિધિ હોવાથી પોતાના વિસ્તારના પ્રશ્નોને રજૂ કરવા વિધાનસભામાં ઉપસ્થિત રહેવા માટે નર્મદાની કોર્ટમાં ત્રણ દિવસના વચગાળાના જામીનની માંગ કરી હતી. નર્મદાની કોર્ટે ચૈતર વસાવાને શરતોને આધીન વચગાળાના જામીન આપ્યા છે. જે પૈકી એક શરતમાં ચૈતર વસાવાને પોલીસ જાપ્તા સાથે જામીન આપવામાં આવ્યા હતા. ચૈતર વસાવાએ આ શરતમાં ફેરફાર કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં તેના વતી વકીલે જણાવ્યું હતું કે ત્રણ દિવસના પોલીસ જાપ્તાનો ખર્ચ 03 લાખ રૂપિયા જેટલો થવા જાય છે. વળી આ બનાવ વખતે ચૈતર વસાવા જાતે પોલીસ સ્ટેશનમાં ગયા હતા અને સામા પક્ષ સામે ફરિયાદ નોંધવા પણ માંગ કરી હતી. આમ અરજદાર એક ધારાસભ્ય છે અને તે ભાગી જાય તેમ નથી. સામે સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપી સામે અનેક પૂર્વ ગુના નોંધાયેલા છે. તે પોલીસ કસ્ટડીમાં હતો, તેમ છતાં તેને મીડિયાને સંબોધન કર્યું હતું. સેશન્સ કોર્ટે 01 PSI, 01 ASI, 01 હેડ કોન્સ્ટેબલ અને 02 પોલીસ કોન્સ્ટેબલના જાપ્તા સાથે આરોપીના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. પોલીસ જપ્તાનો એક દિવસ તો ખર્ચ 45 હજાર રૂપિયા જેટલો થવા જાય છે, જ્યારે ત્રણ દિવસનો ખર્ચ 1.36 લાખ જેટલો થવા જાય છે. ચૈતર વસાવા આ ત્રણ દિવસ દરમિયાન મીડિયાને બાઈટ આપે નહીં કોઈ રેલી કે સભાનું આયોજન કરે નહીં. ગુજરાત હાઇકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ચૈતર વસાવાને પોલીસ જાપ્તા વગર વિધાનસભાના સત્રમાં હાજર રહેવા માટે મંજૂરી આપી છે. જો કે આ દરમિયાન તે રેલી કરી શકશે નહીં, કોઈ સભા કરી શકશે નહીં, મીડિયાને સંબોધન કરી શકશે નહીં અને નર્મદા જિલ્લામાં પ્રવેશી શકશે નહીં. કેસની વિગતો જોતા ડેડીયાપાડા પ્રાંત ઓફિસરની કચેરી ખાતે એટીવીટીની બેઠક મળી હતી. જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા હાજર રહ્યા હતા. પરંતુ કમિટીમાં તેમના સભ્યોનો સમાવેશ ન થતા ફરિયાદ મુજબ તેઓએ સાગબારા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખને ગાળો આપી હતી. તેમજ ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવાને છુટ્ટી વસ્તુઓ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પ્રાંત ઓફિસરની ઓફિસમાં તોડફોડ કરી હતી.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 5:13 pm

માણાવદરમાં 76મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાયો:જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મરના અધ્યક્ષસ્થાને આયોજન, લાભાર્થીઓને ચેક વિતરણ અને ઓક્સિજન રથનું લોકાર્પણ કરાયું

સમગ્ર રાજ્યમાં 'એક પેડ માં કે નામ' અભિયાન 2.0 વેગ પકડી રહ્યું છે, ત્યારે જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં આવેલા ડી.ડી. વડાલિયા સાયન્સ સ્કૂલ ખાતે 76મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન સામાજિક વનીકરણ વિભાગ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મરના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.​ 'ગ્રીન ગુજરાત-ક્લીન ગુજરાત'ને પ્રોત્સાહન આપવા કાર્યક્રમકાર્યક્રમના અધ્યક્ષ હરેશ ઠુમ્મરે જણાવ્યું કે, આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય માત્ર વન વિસ્તારમાં વૃક્ષો વાવવાનો નથી, પરંતુ આપણા ઘરના આંગણાથી લઈને આસપાસના વિસ્તારોમાં હરિત આવરણ જળવાઈ રહે, પર્યાવરણનું જતન થાય અને 'ગ્રીન ગુજરાત-ક્લીન ગુજરાત' અભિયાનને પ્રોત્સાહન મળે તે માટે છે. આપણી સંસ્કૃતિમાં ગાય, પીપળો, તુલસી અને વડલા જેવા વૃક્ષોનું પૂજન કરવામાં આવે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, દરેક નાગરિકે પોતાના આંગણામાં પશુ-પંખીઓ માટે પાણીનો બાઉલ રાખવો જોઈએ અને બોરસલ્લીનું વૃક્ષ વાવી મૂંગા જીવોની સેવા કરવી જોઈએ.​ વિદ્યાર્થીઓએ 'એક પેડ માં કે નામ' અભિયાન પર નૃત્ય રજૂ કર્યુંકાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મહેમાનોને તુલસીના રોપા આપીને કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ 'એક પેડ માં કે નામ' અભિયાન પર નૃત્ય રજૂ કર્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, તાલુકા પંચાયત પ્રમુખ ઝાલાવડિયા, મામલતદાર શુક્લા, તાલુકા વિકાસ અધિકારી નંદાણીયા સહિત અનેક પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.​આ પ્રસંગે આમંત્રિત મહેમાનોના હસ્તે લાભાર્થીઓને સહાયના ચેક અને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઓક્સિજન રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યોવન વિભાગના કર્મચારીઓ, એનિમલ ટ્રેકર, સખી મંડળો અને નર્સરી વર્કર્સને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરાયા હતા. કાર્યક્રમના અંતે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને વૃક્ષ રથ ઓક્સિજન રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યો, જે ઘરે ઘરે વૃક્ષોના રોપાનું વિતરણ કરશે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 5:11 pm

પોર્ટરના પાર્સલમાંથી 192 બિયરની બોટલ મળી:ભુતિયા કંપનીના બિલો બનાવીને કુરિયર મારફતે બિયરના હેરફેરનો પર્દાફાશ

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે બીયરનો જથ્થો જપ્ત કર્યો છે, જે કુરીયરમાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, પોર્ટર કંપનીમાં ડિલિવરી માટે ઉપયોગમાં લેવાતી રિક્ષામાં કેટલાક પાર્સલ છે, જેમાં દારૂ કે બીયરનો જથ્થો છે. ક્રાઈમ બ્રાંચની ટીમ નારોલ પાસે વોચમાં હતી ત્યારે એક પોર્ટર કંપનીની રિક્ષા આવી હતી, જેને કોર્ડન કરી લેવાઈ હતી. રિક્ષા નારોલમાં રહેતા અમૃતલાલ પ્રજાપતિ ચલાવતા હતા. પાર્સલ અમદાવાદની પાહવા કંપનીના હતા અને મુંબઈની યશ કોપી સેન્ટર નામથી આવ્યા હતા. ક્રાઈમ બ્રાંચની ટીમે પાર્સલને ઘટના સ્થળ પર ખોલીને જોતા તેમાંથી બીયરની પેટીઓ મળી આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે 48 હજારનો બિયરનો જથ્થો જપ્ત કરી રેકેટનો પર્દાફાશ કર્યોબિયરનો જથ્થો મંગાવનાર શખસને ઝડપી લેવા માટે ક્રાઈમ બ્રાંચે અમૃતલાલને ઓર્ડર આપનારે ફોન કરવા જણાવ્યુ હતું. અમૃતલાલે ફોન કરતા ઓર્ડર મંગાવનાર શખસનો ફોન બંધ આવતો હતો. પાર્સલોથી ભરેલી રિક્ષાને ક્રાઈમ બ્રાંચ કચેરીએ લાવવામાં આવી હતી. પાર્સલો ખોલતા તેમાંથી 192 બિયરના ટીન મળી આવ્યા હતા. ક્રાઈમ બ્રાંચે GST નંબરવાળા બિલ ચેક કરતા તે ખોટા હોવાનું સામે આવ્યુ હતું. આ સિવાય પાર્સલ શાહીબાગના સહજાનંદ શોપીંગ સેન્ટર ખાતે પહોચવાનું હતું. ક્રાઈમ બ્રાંચે 48 હજારની કિંમતનો બિયરનો જથ્થો જપ્ત કરીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 4 Sep 2025 5:04 pm